SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

મુંબઇની જેમ અમદાવાદમાં પણ ઘર મળવું મુશ્કેલ બનશે:50 લાખનું મકાન 1 કરોડમાં વેચાશે, કોમનવેલ્થ-ઓલિમ્પિકની યજમાનીથી રિયલ એસ્ટેટ માર્કેટમાં 100 ટકાનો વધારો થશે

દેશનું મેટ્રો પોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલું અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે, ત્યારે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આગામી સમયમાં વિશ્વના અન્ય શહેરો જેવું નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રીયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે તેવી સંભાવના ડેવલોપર્સ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ભાટ, કરાઈ અને અમદાવાદની ફરતે બનનારા નવા રિંગરોડ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે. આગામી 10 વર્ષમાં મકાનની કિંમત બે ગણી વધવાની શક્યતા ડેવલોપર્સે વ્યક્ત કરી છે. અમદાવાદના રિયલ એસ્ટેટમાં 100 ટકાનો વધારો થશેક્રેડાઈ (CREDAI) અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રિયલ એસ્ટેટનું માર્કેટ 50થી 60 ટકા જેટલું વધ્યું છે. વર્ષ 2016માં જે મકાન 40થી 45 લાખ રૂપિયામાં વેચ્યા તેને આજે રૂપિયા 70 લાખમાં વેચીએ છીએ. જેથી 65 ટકા જેટલો જે વધારો થયો છે તે આગામી 10 વર્ષમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં 100 ટકાનો વધારો થઈ શકે છે. જે મકાન આજે 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે તે આગામી 6થી 7 વર્ષમાં એક કરોડ રૂપિયામાં મળશે. મુંબઇની જેમ અમદાવાદમાં પણ ઘર મળવું મુશ્કેલ બનશેઅમદાવાદમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખી શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કરાઈમાં સ્પોર્ટ્સ એકેડમી તેમજ પશ્ચિમ અમદાવાદમાં સ્પોર્ટ એરેના બની રહ્યું છે. તેનાથી અમદાવાદ શહેર દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ તરફ આગળ વધતા જમીનના ભાવો પણ વધી રહ્યા છે. જમીનના ભાવો વધે જેની સાથે મકાનોની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. મુંબઈમાં જે રીતે વિકાસ થયો છે અને મુંબઈમાં જો 50 લાખનું મકાન લેવું હોય તો એક સપનું છે તેવી રીતે અમદાવાદમાં પણ જ્યારે એક કરોડની જનસંખ્યા થઈ જશે ત્યારે મકાનો એટલા બનાવવા અને તેને પૂરા પાડવા ખૂબ જ અઘરા થઈ જાય છે. આગામી 10 વર્ષમાં 50 લાખનું મકાન 1 કરોડમાં મળશેવધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરીએ ત્યારે લોન્ચ કાર્યથી લઈને બનીને તૈયાર થાય તેમાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગતો હોય છે. જે સમયગાળામાં માઇગ્રેશન પણ ખૂબ વધારે થયા છે, ત્યારે લોકોની મકાનની જરૂરિયાત અંગે ખ્યાલ આવતો નથી. આગામી 10 વર્ષ પછી મકાન લેવું લોકો માટે ખૂબ જ અઘરું થઈ જશે. જે મકાન અત્યારે 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે તે કદાચ 1 કરોડમાં મળશે. અત્યારે જે વ્યક્તિ મકાનમાં ઇનવેસ્ટમેન્ટ કરે છે તેને ખૂબ જ ફાયદો થઈ શકે છે. આ પણ વાંચો: રાજ્યનું સૌથી ઊંચું બિલ્ડિંગ ક્યાં બની રહ્યું છે? SBR પર બિલ્ડિંગમાં યુનિક સ્ટેચ્યૂ, દુબઈને ટક્કર આપવા અમદાવાદ તૈયાર કોમનવેલ્થ-ઓલિમ્પિક્સ યોજાતા દુબઇ અને સિંગાપુર જેવું અમદાવાદ બનશેશહેરના રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ (પ્રોપર્ટી શો) યોજાશે. આ પ્રોપર્ટી શોમાં અમદાવાદ શહેર અને આજુબાજુના 400થી વધુ પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી 10 વર્ષમાં અમદાવાદ દુબઈ અને સિંગાપુર જેવું બનશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 જાન્યુઆરીના રોજ આ પ્રોપર્ટી શોનું ઉદઘાટન કરશે. પ્રોપર્ટી શોમાં અફોર્ડેબલ, પ્રીમિયમ અને હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ રજૂ કરાશેGIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં અમદાવાદ તેમજ તેની આસપાસના હાલના અને આગામી ગ્રોથ કોરિડોર્સના અગ્રણી 50થી વધુ ડેવલપર્સના 40થી વધુ અફોર્ડેબલ, પ્રીમિયમ અને હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. જેમાં કોમર્શિયલ, પ્લોટિંગ સ્કીમ્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત આ પ્રોપર્ટી શોમાં નાણાકીય સંસ્થાઓ પણ ભાગ લેશે. જે સંભવિત ખરીદદારોને લોન તથા ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ અંગે માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે. પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો-રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે, 20મો GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ એવા સમયે યોજાઈ રહ્યો છે, જ્યારે અમદાવાદનો રિયલ એસ્ટેટ ક્ષેત્ર નવી ગતિ અનુભવ તો જોવા મળી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન તરીકે અમદાવાદની પસંદગી તથા 2036માં ઓલિમ્પિક્સ માટે બિડ કરવાની તેની યોજના શહેરને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરશે. આ વિકાસથી મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે, નોંધપાત્ર રોકાણ થશે અને રહેણાંક, વ્યાપારી તથા અન્ય ક્ષેત્રોમાં મજબૂત માગ ઊભી થશે, જેના પરિણામે અમદાવાદની લાંબા ગાળાની આર્થિક શક્યતાઓ વધુ મજબૂત બનશે. શહેરના વિકાસમાં ભાગ લેવા માટે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો અને રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પણ વાંચો: ગુજરાતીઓ 10થી 25 કરોડના ફ્લેટ ચણા-મમરાની જેમ ખરીદવા લાગ્યા, ફિલ્મસ્ટાર્સના ઘરને ટક્કર મારે એવી ફેસિલિટી અમદાવાદ અને તેની આસપાસ વેરિફાઇડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ જોવા મળશેક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ આલાપ પટેલે જણાવ્યું કે, 2026થી 2036 અમદાવાદનો દસકો છે અને તેને અનુરૂપ જ અમે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ કરી રહ્યા છીએ. પ્રોપર્ટી ઓલિમ્પિયાડના મુલાકાતીઓને તેમના બજેટ અને પસંદગીઓને અનુરૂપ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી મળી રહશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેરિફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોવા મળશે. શહેર નવા શહેરી વિકાસ અને ઈન્ફાસ્ટ્રક્ચર આધારિત ગ્રોથના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી આગામી શોનું મહત્વ વધશે. મોટી સંખ્યામાં પ્રોપર્ટી ખરીદદારો અને રોકાણકારો આકર્ષિત થશેઆ પ્રોપર્ટી શોમાં અફોર્ડેબલ તેમજ પ્રીમિયમ હાઉસિંગ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિકાસ, વીકએન્ડ હોમ્સ તથા પ્લોટેડ પ્રોજેક્ટ્સ સહિતના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓને અહીં અનેક વિકલ્પો શોધવાની, ડેવલપર્સ સાથે સીધી ચર્ચા કરવાની અને સ્થળ પર જ વ્યાપક માહિતી મેળવવાની સાથે લોન અંગેની માહિતી મેળવવાની તક પણ મળી રહેશે. અમે રિયલ એસ્ટેટ ક્ષેત્ર અંગે ઉત્સાહિત છીએ અને વિશ્વાસ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંભવિત પ્રોપર્ટી ખરીદદારો અને રોકાણકારો આકર્ષિત થશે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 12:05 am

રાજકોટમાં પેંડા ગેંગના સાગરીતે ફરી લખણ ઝળકાવ્યા:ભાજપ કાર્યકરની ગાડીને આગ ચાંપી, ઘટના સીસીટીવીમાં કેદ, રિકંસ્ટ્રક્શન દરમિયાન આરોપી લંગડાતો દેખાયો

રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ નવલનગર શેરી નંબર 9નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યા હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવમાં આવી હતી જેથી પોલીસે આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસી કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન વાહનોમાં આગ લગાડનાર અન્ય કોઈ નહિ પરંતુ પેંડા ગેંગનો સાગરીત યસ ઉર્ફે ઠોંડી હોવાનું સામે આવત તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ સમયે આરોપી રીતસર લંગડાતો નજરે પડ્યો હતો અને જાહેરમાં બે હાથ જોડી લોકોની માફી માંગી રહ્યો હતો. રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 9ના ખૂણે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની મારુતિ કંપનીની સ્વીફટ કાર અને એક એક્ટીવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલર પાર્ક કરેલું હતું જેને બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યા આસપાસ અચાનક સળગતી હાલતમાં જોઈ ભરતભાઇ તથા આડોશ-પાડોશના લોકો દોડી ગયા હતા આગ ઓલવવા પ્રયાસ શરૂ કર્યા હતા દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગની લપેટમાં આવેલી કાર અને બંને સ્કૂટર બાળીને ખાખ થઇ ગયા હતાં. ભરતભાઈના કહેવા મુજબ તેના વાહનોમાં આગ પુનીતનગરના નામચીન શખ્સ યશ ઉર્ફે ઢોંડી બકરાણીયાએ લગાવી હતી. બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યે ટુવ્હીલર લઈને યસ ઉર્ફે ઠોંડી આવ્યો હતો અને તેની પાસે રહેલા શીશામાંથી કાર તથા બે ટુવ્હીલર પર પેટ્રોલ છાંટયુ હતું પછી કાર નીચે કોથળા જેવું મુકી આગ લગાડી દીધી હતી જેથી આગમાં ત્રણેય વાહન બળી જતા નુકસાન થયું છે. ભરતભાઇના વાહનોમાં આગ લગાડવા પાછળ કારણ અંગે તેમને જણાવ્યું હતું કે, ગત શુક્રવારે રાતે ગોકુલધમના ગેઈટ પાસે મારા ભાઈ જયેશભાઈ અને બાબુભાઈ સાથે યશ ઉર્ફે ઠોંડી બકરાણીયાને મજાક મશ્કરી અને ગાળાગાળી કરવા બાબતે ઝઘડો થયો હતો. આ વખતે યશ પોતાની સાથે મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે યશની ફરિયાદ પરથી જયેશભાઈ અને બાબુભાઈ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો ખાર રાખી મોડી રાત્રે ત્રણ વાહનોને આગ લગાડી દીધી હતી. બનાવ અંગેની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આગ લગાડનાર યસ ઉર્ફે ઠોંડી હોવાનું સ્પષ્ટ થઇ જતા ગુરુવારે સાંજે આરોપી યશની ધરપકડ કરી તેને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. દરમિયાન યશ લંગડાતો અને બે હાથ જોડી જાહેરમાં લોકોની માફી માંગતો નજરે પડ્યો હતો. બાબુભાઇનાં ભાઈ મયુરભાઈ સીંધવ હાલ વોર્ડ નં.12મા મીડીયા સેલનાં પ્રમુખ છે અને આરોપી યશ પેંડા ગેંગનો સાગરીત છે.

દિવ્ય ભાસ્કર 26 Dec 2025 12:02 am

પોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં સજા:NSUI પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, ભાઈ ભગીરથ અને પિતા ખીમા કાંધા બાપોદરાને 6 માસની કેદ

પોરબંદરમાં દસ વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, તેમના ભાઈ ભગીરથ બાપોદરા અને પિતા ખીમા કાંધા બાપોદરાને છ માસની સજા ફટકારવામાં આવી છે. આ કેસ રાણાવાવ ખેતીવાડી બેન્કના ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર થયેલા હુમલાનો છે. જમીન બાબતના મનદુઃખને લઈને આ હુમલો થયો હતો. કિશોરભાઈ ભૂતિયાએ 31 જાન્યુઆરી, 2015ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ રાજીવનગર વિસ્તારમાં કાંધાબાપાના ચોક પાસે કિશોરભાઈની કાર અટકાવી હતી. ખીમા કાંધા બાપોદરાએ કિશોરભાઈના સસરાની વડવાળા ગામે આવેલી ખેતીની જમીન બાબતે મનદુઃખ રાખ્યું હતું. કિશોરભાઈ પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને વડવાળા ગામે જમીનમાં પગ ન મૂકવા ધમકી આપી હતી. ત્યારબાદ, બેઝબોલના ધોકાથી માર માર્યો હતો અને કારના કાચ પર ધોકા મારી નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ જે.જે. હાથલિયા અને સરકારી વકીલ એમ.બી. જાડેજાએ દલીલો કરી હતી. એડી સિનિયર સિવિલ જજ એ.એ. શેખે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી દરેકને છ માસની સજાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:46 pm

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું:ડો. પ્રદ્યુમન વાજાની હાજરીમાં સેવાકીય કાર્યક્રમ યોજાયો, વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. ​બૂથ સ્તરે સેવાકીય કાર્યોથી અટલજીને અંજલિ​આ પ્રસંગે મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ મહાનગર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને જનસેવા દ્વારા અટલજીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે, જે અંતર્ગત બૂથ સ્તર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા એ જ અટલજીને સાચી શ્રદ્ધાંજલિ છે. ​અટલજીની યોજનાઓ ભારતનો પાયો બની: મંત્રી​વધુમાં મંત્રીએ અટલ બિહારી વાજપેયીના પ્રદાનને યાદ કરતા કહ્યું કે, તેમણે પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા છેવાડાના ગામડાઓને જોડ્યા અને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા દેશના રાજ્યોને મહામાર્ગોથી સાંકળ્યા હતા. રાઈટ ટુ એજ્યુકેશન જેવી યોજનાઓથી લાખો લોકોને શિક્ષણનો લાભ મળ્યો છે. તેમના આ સેવાના વારસાને આગળ ધપાવવા આજે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. ​સ્થાનિક પદાધિકારીઓની મોટી સંખ્યામાં હાજરી​આ સેવા કાર્યમાં જૂનાગઢના મેયર ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ પદાધિકારીઓ, સંગઠનના કાર્યકર્તાઓ અને ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિત હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. મહાનુભાવોએ દર્દીઓને ફ્રૂટની કીટ અર્પણ કરી તેમના વહેલા સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:40 pm

WPL 2026ની ટિકિટનું 26 ડિસેમ્બરથી વેચાણ શરૂ થશે:વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાનારી 11 મેચોને લઈને ઓનલાઇન ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવશે

મહિલા ક્રિકેટની સૌથી મોટી લીગ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026નું આયોજન નવી મુંબઈ અને વડોદરામાં થશે. આ વખતે વડોદરાનું પ્રતિષ્ઠિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ લીગના બીજા તબક્કાનું કેન્દ્ર બનશે, જ્યાં પ્લેઓફ અને ફાઇનલ સહિત 11 હાઇ-વોલ્ટેજ મેચો રમાશે. ટિકિટોનું સાંજે 6 વાગ્યે ઓનલાઇન વેચાણ શરૂ થશેભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે WPL 2026ની ટિકિટો આવતીકાલે, 26 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યે ઓનલાઇન વેચાણ માટે લાઇવ થશે. ચાહકો WPLની સત્તાવાર વેબસાઇટ, WPL એપ તેમજ ડિસ્ટ્રિક્ટ (District by Zomato) પ્લેટફોર્મ દ્વારા ટિકિટો બુક કરાવી શકશે. 19 જાન્યુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મેચ રમાશેWPL 2026ની શરૂઆત 9 જાન્યુઆરીએ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. નવી મુંબઈમાં 11 મેચો રમાયા પછી, લીગ 19 જાન્યુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. અહીં ગુજરાત જાયન્ટ્સ અને RCB વચ્ચેની મેચથી શરૂઆત થશે, ત્યારબાદ 2025ની ફાઇનલની રિમેચ તરીકે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો સામનો થશે. ગ્રાન્ડ ફાઇનલ 5 ફેબ્રુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશેલીગ સ્ટેજ 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે, ત્યારબાદ એલિમિનેટર 3 ફેબ્રુઆરીએ અને ગ્રાન્ડ ફાઇનલ 5 ફેબ્રુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટપ્રેમીઓને મહિલા ક્રિકેટના સુપરસ્ટાર્સ જેવા કે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ તેમજ ગુજરાતની યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવને લાઇવ જોવાનો મોકો મળશે. વડોદરાના ચાહકો માટે આ લીગના સૌથી રોમાંચક તબક્કાના સાક્ષી બનવાની તક છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:34 pm

વાપી રેલવે પોલીસે ચોરીનાનો ભેદ ગુના ઉકેલ્યો:રૂ. 1.23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ

વાપી રેલવે પોલીસે રેલવે વિસ્તારમાં થયેલી ચોરીના અનેક અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કામગીરી GRPના DySP ડી.એચ. ગોર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ બાદ હાથ ધરવામાં આવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે ટ્રેનો અને રેલવે હદ વિસ્તારમાં ચોરીના ગુનાઓને અટકાવવાનો હતો. DySP ગોરની સૂચનાઓના અનુસંધાને, વાપી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ PSI એ.એમ. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, પોલીસે અલગ અલગ સ્થળોએથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ 7 મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત રૂ. 1,23,500/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં વિવેક ઉર્ફે પાંડે ઉર્ફે પંડિત અવધેશકાંત દુબે (ઉંમર 27) અને અલી અનવર શેખ (ઉંમર 24) નો સમાવેશ થાય છે. બંને હાલમાં મુંબઈના કુર્લા ઇસ્ટ, સાબલેનગર ઝુપડપટ્ટીમાં રહે છે. બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વાપી રેલવે પોલીસની આ સફળ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સકારાત્મક રીતે બિરદાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:24 pm

સાબરમતી લોકોમોટિવ શેડની અનોખી શોધ:હવે રેલવે ટ્રેક થશે વધુ સ્વચ્છ, નવી વેક્યૂમ ક્લીનિંગ મશીન તૈયાર

ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને આગળ વધારતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત લોકોમોટિવ શેડ, સાબરમતી દ્વારા એક નવી અને ઉપયોગી શોધ કરવામાં આવી છે. અહીંની ટીમે પોતાની રીતે એક વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ તૈયાર કરી છે, જે રેલવે ટ્રેકની સફાઈ માટે ખૂબ જ અસરકારક છે. આ મશીન ખાસ કરીને રેલવે ટ્રેક અને તેની આસપાસ પડેલા કચરાને સાફ કરવા માટે બનાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપકરણ પર્યાવરણને અનુકૂળ છે અને ખર્ચમાં પણ સસ્તું છે. વેક્યૂમ દ્વારા ટ્રેક પર પડેલો કચરો સીધો એક મોટા ચેમ્બરમાં જમા થઈ જાય છેઆ ડિવાઇસ લોકોમોટિવમાં લાગેલા રેડિયેટર ફેનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેને એક ડીઝલ વર્કિંગ ટ્રોલી પર લગાવવામાં આવ્યું છે અને તેને પાવર પણ લોકોમોટિવમાંથી જ મળે છે. વેક્યૂમ દ્વારા ટ્રેક પર પડેલો કચરો સીધો એક મોટા ચેમ્બરમાં જમા થઈ જાય છે. આ મશીન 1000થી 1800 RPMની ઝડપે ચાલે છે, જેના કારણે તે મજબૂત સક્શન આપે છે. ડ્રાઇવર પોતાની બેઠક પરથી જ ઓન-ઓફ અને ઝડપ નિયંત્રિત કરી શકે છે. એટલે કે, ટ્રેક સાફ કરવા માટે વધારાના માણસોની જરૂર પડતી નથી. માત્ર એક ઓપરેટર દ્વારા ટ્રેક અને ટ્રેકની બાજુના વિસ્તારની સફાઈ કરી શકાયઆ ઉપકરણમાં મોટું કચરો સંગ્રહ ચેમ્બર અને મજબૂત નેટ બેગ લગાવવામાં આવી છે, જેથી કચરો એકત્ર કરવો અને દૂર કરવો સરળ બને છે. માત્ર એક ઓપરેટર દ્વારા ટ્રેક અને ટ્રેકની બાજુના વિસ્તારની સફાઈ કરી શકાય છે. ખાસ વાત એ છે કે ટ્રેન ચાલતી હોય ત્યારે પણ આ મશીનથી સફાઈ શક્ય છે અને લોકોમોટિવની મુખ્ય નિયંત્રણ પ્રણાલીથી તે સંપૂર્ણપણે અલગ હોવાથી સલામતી પણ જળવાઈ રહે છે. લોકોમોટિવ શેડ સાબરમતીની આ નવી પહેલથી રેલવે ટ્રેક વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:21 pm

મોરબીની દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી:ગ્રાહક બની આવેલો ગઠિયો સીસીટીવીમાં કેદ

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલી એક દુકાનમાંથી ધોળા દિવસે 50,000 રૂપિયા રોકડની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક શખ્સ આ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના આજે સવારે 10 વાગ્યાના અરસામાં જલારામ ટ્રેડર્સ નામની પાન-મસાલાની દુકાનમાં બની હતી. દુકાન માલિક મિતેશભાઈ પુજારા જ્યારે દુકાનની અંદર માલ લેવા ગયા હતા, ત્યારે ગઠિયાએ કાઉન્ટરના ટેબલના ખાનામાંથી રોકડા 50,000 રૂપિયાનું બંડલ સેરવી લીધું હતું. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. આ સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ચોરની કરતૂત સ્પષ્ટ દેખાઈ રહી છે. ભોગ બનેલા વેપારી મિતેશભાઈ પુજારાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી છે. પોલીસે વેપારી પાસેથી અરજી લઈને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર શખ્સને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:18 pm

30થી વધુ નિષ્ણાંત તબીબો આપશે સેવા:વિશ્વઉમિયાધામ દ્વારા પાર્વતી જાદવ હોસ્પિટલમાં ભવ્ય સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનને સાર્થક કરતા ધર્મ, સંસ્કૃતિ અને માનવ સેવાના ત્રિવેણી સંગમ સમાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલમાં સંસ્થા દ્વારા અમદાવાદના જાસપુર ખાતે 100 વિઘા જમીનમાં વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંસ્થા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ કાર્યરત છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરવાના ભાગરૂપે સંસ્થા દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વિશાળ 'સર્વ રોગ નિદાન કેમ્પ'નું આયોજનવિશ્વ ઉમિયાધામ અને પાર્વતી જાદવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પાર્વતી જાદવ હોસ્પિટલ ખાતે આગામી 27 અને 28 ડિસેમ્બર 2025, શનિવાર અને રવિવારના રોજ વિશાળ 'સર્વ રોગ નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે 9થી સાંજે 7 કલાક સુધીનો રહેશે, જેમાં હજારો દર્દીઓ લાભ લે તેવી શક્યતા છે. આ કેમ્પની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. વિવિધ રોગોના 30થી વધુ નિષ્ણાંત ડૉક્ટરો આ કેમ્પમાં પોતાની સેવાઓ આપશે. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓની તપાસ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. નિદાન માટે જરૂરી અન્ય મેડિકલ ટેસ્ટ હોસ્પિટલ દ્વારા ખૂબ જ રાહત દરે કરી આપવામાં આવશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, સંસ્થા હંમેશા રાષ્ટ્રહિત અને જનસેવાની વિચારધારા સાથે જોડાયેલી છે. આ કેમ્પ દ્વારા છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:15 pm

ગોધરાનું સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચ નાતાલ માટે શણગારાયું:પ્રભુ ઈસુના જન્મોત્સવ અને નવા વર્ષની ઉજવણીનો માહોલ

દેશભરમાં ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો પર્વ નાતાલ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નિમિત્તે ગોધરા સહિતના શહેરોમાં ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ગોધરા શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચને પણ નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચને સમાજસેવાના પ્રમુખ અર્પિત પી. રાઠોડ અને તેમની સમિતિ દ્વારા રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે. આ શણગાર જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરોની સુંદરતામાં વધારો થયો છે. ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:13 pm

માળીયામાં ડીઝલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ:ફતેપર પાસેથી ₹36.10 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામની સીમમાં ડીઝલ ચોરીનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી થાય તે પહેલા જ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કુલ ₹36.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ફતેપર ગામના ખરાવાડ વિસ્તારમાં GJ 3 BY 6601 નંબરનું એક ટેન્કર શંકાસ્પદ હાલતમાં ઊભેલું જોવા મળ્યું હતું. પોલીસે ટેન્કરની તપાસ કરતા તેમાં ડીઝલનો જથ્થો ભરેલો હતો. સ્થળ પરથી 20 લિટરનો એક ખાલી પ્લાસ્ટિક કેરબો પણ મળી આવ્યો હતો. ટેન્કરમાં લગાવવામાં આવેલું સીલ તોડેલી હાલતમાં હતું. પોલીસે ટેન્કરના ડ્રાઈવરની પૂછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, જેના પરથી ડીઝલ ચોરીનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે, પોલીસ સમયસર પહોંચી જતા ડીઝલની ચોરી થઈ શકી ન હતી. પોલીસે સ્થળ પરથી ₹15 લાખની કિંમતનું ટેન્કર અને તેમાં ભરેલું 24,000 લિટર ડીઝલ, જેની કિંમત ₹21,10,923 છે, તે જપ્ત કર્યું હતું. આમ, કુલ ₹36,10,923નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ડ્રાઈવર દિલીપભાઈ વરજાંગભાઈ વિરડા (ઉંમર 39, રહે. ફતેપર, તા. માળીયા મીયાણા)ની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, માળીયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ પણ ડીઝલ ચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેના પરથી આ વિસ્તારમાં ડીઝલ ચોરીની પ્રવૃત્તિ સક્રિય હોવાનું જણાય છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:06 pm

લુણાવાડા એસટી ડેપોમાં માર્ગ સેફ્ટી કાર્યક્રમ યોજાયો:ડ્રાઇવરોને કેફી પીણાંના સેવનથી થતા નુકસાન અંગે જાગૃત કરાયા

મહીસાગર જિલ્લાના લુણાવાડા ડેપો ખાતે માર્ગ સલામતી અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગોધરા વિભાગના વિભાગીય નિયામકના સૂચન અનુસાર આ કાર્યક્રમ એ.ટી.આઈ. બી.કે. સિસોદિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગોધરા વિભાગીય કચેરીથી રમેશભાઈ માછી અને જયંતીભાઈ ડામોર વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તા રમેશભાઈ માછીએ જણાવ્યું હતું કે, નિગમના કેટલાક કર્મચારીઓ કેફી પીણાંનું સેવન કરીને ફરજ બજાવે છે. આના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે, જેના પરિણામે નિગમને મોટા ક્લેમ ચૂકવીને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેફી પીણાંના સેવનથી મુસાફરો સાથે ગેરવર્તણૂક થવાના કિસ્સા પણ બને છે, જે નિગમની છબીને નુકસાન પહોંચાડે છે. ધુમ્રપાન કરવું પણ કર્મચારીઓ માટે હિતાવહ નથી અને તેનાથી મુસાફરોને અગવડતા પડે છે. આ માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમમાં લુણાવાડા ડેપોના એ.ટી.આઈ. વી.કે. પુવાર, એ.ટી.આઈ. બી.કે. સિસોદિયા, ટી.સી. હિંમતસિંહ સિસોદિયા સહિત ડેપોના ડ્રાઇવરો અને કંડક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:04 pm

JCC બેંક ડાયરેક્ટર ચૂંટણીમાં WRMSના બંને ઉમેદવારો જીત્યા:વેરાવળ રેલવે સ્ટેશન પર કર્મચારીઓએ ઉજવણી કરી

વેરાવળ રેલવે સ્ટેશન પર WRMS ભાવનગર ડિવિઝનના વાઇસ ચેરમેન અને વેરાવળ બ્રાંચના ચેરમેન તસ્લીમ કાજી, બ્રાંચ સેક્રેટરી રાજીવ કુમાર મિશ્રા, વાઇસ ચેરમેન જસુ પરબત, મનીષ સિંહા, અમર કુમાર, દિનેશ મારું, હનીફ દાઉદ, તેમજ એસી-એસટી બ્રાંચ સેક્રેટરી રમેશ મીના સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન સર્કલમાં ફટાકડા ફોડી “WRMS જિંદાબાદ”ના નારા સાથે હર્ષોલ્લાસપૂર્વક જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ભાવનગર ડિવિઝનલ વાઇસ ચેરમેન તથા વેરાવળના ચેરમેન તસ્લીમભાઈ કાજીએ જણાવ્યું હતું કે, “કર્મચારીઓએ આપેલો આ જનાદેશ WRMSની સતત કર્મચારી હિતની લડતનો પુરાવો છે. ભવિષ્યમાં પણ સંગઠન રેલવે કર્મચારીઓના અધિકારો અને કલ્યાણ માટે અડગ રહીને કાર્ય કરતું રહેશે.” વેસ્ટર્ન રેલવેમાં જેક્શન કોઓપરેટિવ સોસાયટી (JCC બેંક)ના ડાયરેક્ટર પદનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં માન્યતા પ્રાપ્ત બન્ને યુનિયનો ઉપરાંત વિવિધ એસોસિએશનો દ્વારા પોતાના ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ (WRMS) તરફથી ભાવનગર ડિવિઝન માટે સચિન પરમાર અને રોહિદાસ મીનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. WRMSના જનરલ સેક્રેટરી આર. જી. કાબર તથા ભાવનગર ડિવિઝનલ સેક્રેટરી બી. એન. ડાભીના નેતૃત્વ હેઠળ બંને ઉમેદવારો માટે જબરદસ્ત પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનના DRM ઓફિસ ખાતે ચુંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન બાદ મત ગણતરી પૂર્ણ થતાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બંને ઉમેદવારોનો સ્પષ્ટ અને ભવ્ય વિજય જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર ડિવિઝનના કર્મચારીઓમાં WRMSએ હંમેશા કર્મચારી હિત માટે લડત આપેલી હોવાથી સંગઠન પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળ્યો હતો. કર્મચારીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરી WRMSના બંને ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા. બંને ઉમેદવારોના એકસાથે વિજય જાહેર થતાં સમગ્ર ભાવનગર ડિવિઝનના સ્ટેશનો અને બ્રાંચ ઓફિસોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને આનંદોત્સવનો માહોલ સર્જાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:00 pm

ગીર સોમનાથમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી:વિદ્યાર્થીઓ માટે હસ્તકલા, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજાઈ

શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, અડગ સાહસ અને મહાન બલિદાનની સ્મૃતિમાં 26 ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ની ગીર સોમનાથ જિલ્લામાં ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસાવવાનો તેમજ તેમને તેમના અધિકારો અંગે જાગૃત કરવાનો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ દ્વારા હસ્તકલા પ્રદર્શન, નિબંધ લેખન સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ સાહેબઝાદાઓના શૌર્ય, ત્યાગ અને અવિસ્મરણીય બલિદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેનાથી ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બની હતી. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન બાળકોને તેમના મૂળભૂત બાળ અધિકારો અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. શિક્ષકો દ્વારા શિક્ષણનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, સમાનતા તેમજ ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર જેવી બાબતો સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી. આ રીતે, ગીર સોમનાથ જિલ્લામાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી માત્ર સ્મૃતિદિન તરીકે નહીં, પરંતુ મૂલ્ય આધારિત શિક્ષણ અને બાળ જાગૃતિના મજબૂત સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:52 pm

ફ્લેટનો ઉપયોગ અતિથિગૃહ તરીકે કરતા સીલ:VMCની નોટિસને હાઇકોર્ટમાં ચેલેન્જ, અરજદાર દ્વારા બાહેંધરી આપતા હાઇકોર્ટે સીલ ખોલવા નિર્દેશ આપ્યા

ફ્લેટનો ઉપયોગ હોસ્પિટાલિટી એટલે કે આતિથ્ય સેવા માટે કરવામાં આવતો હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર ફ્લેટ સીલ કરી દેવાતા સમગ્ર મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે VMCને 4 ફ્લેટને ડી-સીલ કરવા આદેશ આપ્યો છે. સાથે જ માલિકે પૂર્વ પરવાનગી વિના ફ્લેટ હોસ્પિટાલિટીના હેતુ માટે આપવાનો રહેશે નહીં એવી બાહેંધરી આપવાની રહેશે. ત્યારબાદ જ ફ્લેટના સીલ ખોલવામાં આવશે. VMCની નોટિસને હાઇકોર્ટમાં ચેલેન્જવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક એકમના 4 ફ્લેટને સીલ કરવાનો આદેશને આ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે VMCની કારણદર્શક નોટિસ અનુસાર અરજદારના પરિસરને સીલ કરવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને પડકારતી અરજીની સુનાવણી કરી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર વડોદરાની એક હાઉસિંગ સોસાયટીમાં ચાર ફ્લેટના માલિક છે. અરજદારોએ આતિથ્ય હેતુ માટે ફ્લેટ આપવાનું બંધ કરી દીધુંવિવાદીત ફ્લેટ આતિથ્ય હેતુ માટે આપવામાં આવ્યા હોવાથી અરજદારને 1 ડિસેમ્બર, 2025 ના રોજ કારણદર્શક નોટિસ બજાવવામાં આવી હતી. વિવાદીત ફ્લેટના વાણિજ્યિક/આતિથ્ય ઉપયોગ માટે આ નોટિસ આપવામાં આવી હતી. અરજદારે તાત્કાલિક જવાબ દાખલ કરીને નોટિસનો જવાબ આપ્યો. એ જવાબમાં સત્તાવાળાઓને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, અરજદારોએ આતિથ્ય હેતુ માટે ફ્લેટ આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેમ છતાં અરજદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અરજદાર સત્તાધિકારી સમક્ષ બાંયધરી આપવા તૈયારવકીલે એવી રજૂઆત પણ કરી હતી કે, અરજદારને કોર્પોરેશન પાસેથી આવા ઉપયોગ માટે પૂર્વ પરવાનગી લેવાની જાણ નહોતી. વિવાદીત ફ્લેટમાં કોઈ વેપારીક કે વાણિજ્યીક પ્રવૃત્તિ નહોતી કરાતી. જો કે અરજદાર સત્તાધિકારી સમક્ષ બાંયધરી આપવા તૈયાર છે કે જ્યાં સુધી પ્રતિવાદી કોર્પોરેશન પાસેથી જરૂરી પરવાનગી ન મળે ત્યાં સુધી તે આતિથ્ય હેતુ માટે જગ્યાનો ઉપયોગ કરશે નહીં. ફ્લેટને વેબસાઇટ પર મૂકી વાણિજ્યિક હેતુ માટે આપવામાં આવ્યાકોર્પોરેશનના વકીલે રજૂઆત કરી હતી કે, કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે વિવાદમાં રહેલા ફ્લેટને વેબસાઇટ પર મૂકીને વાણિજ્યિક હેતુ માટે આપવામાં આવ્યા હતા. તેથી અરજદાર પાસે આવી કોઈ પૂર્વ પરવાનગી ન હોવાથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તેઓ એ વાત પર વિવાદ કરી શક્યા નહીં કે જો કોર્પોરેશનની માર્ગદર્શિકા મુજબ આવી પરવાનગી મળે તો તેનો ઉપયોગ આતિથ્ય હેતુ માટે થઈ શકે છે. બે દિવસમાં બાંયધરીપત્ર દાખલ કરવાનો રહેશેહાઇકોર્ટે તેના આદેશમાં નિર્દેશ આપ્યો હતો કે, અરજદારને ઉપરોક્ત જણાવ્યા મુજબ સક્ષમ સત્તાધિકારી સમક્ષ આજથી બે દિવસમાં બાંયધરીપત્ર દાખલ કરવાનો રહેશે. પ્રતિવાદી કોર્પોરેશન સત્તાધિકારીને સંતોષ થાય તે રીતે આવી બાંયધરીપત્ર દાખલ કર્યા પછી કોર્પોરેશનને 1 ડિસેમ્બરની નોટિસ અનુસાર અગાઉ લગાવવામાં આવેલ સીલ ખોલવાનો નિર્દેશ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:41 pm

સગીરાનું અપહરણ કરી બીભત્સ માગણી કરનારને 5 વર્ષની કેદની સજા:ઘરે છોડી દેવાનું કહીને આરોપી સગીરાને એક્ટિવા પર બેસાડીને લઈ ગયો, બીભત્સ માગણી કરતા સગીરા કુદી ગઈ હતી

વડોદરા શહેરના છાણી વિસ્તારમાથી સગીરાનું એક્ટિવા પર બળજબરી પૂર્વક અપહરણ કર્યાં બાદ તેની સાથે બીભત્સ માગણી આરોપીએ કરી હતી. આ આરોપીને મેજિસ્ટ્રેટ દ્વારા કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી હોવાનો હુકમ કરાયો છે. વડોદરા શહેરના વર્ષ 2019માં માતા 15 વર્ષીય સગીરાને છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુરમ્ય હાઇટપ પાસે ઘરેથી સ્કૂલ જવા માટે છકડામાં બેસાડીને આવ્યાં હતા. ત્યારબાદ સગીરા દીકરીએ કોઇના મોબાઇલ પરથી ફોન કરીને સ્કૂલે જવુ નથી તેમ કહ્યું હતુ. જેથી માતાએ સ્કૂલ ના જવુ હોય તો રિક્ષામાં બેસી પાછી આવી તેમ કહ્યું હતું. આ દરમિયાન છાણી કેનાલ રોડ પર રહેતા સુરેશ અંબાલાલ વાસફોડિયા ત્યાં આવ્યો હતો અને સગારીને ફર્ટીલાઇઝર ઉતારી દેશે તેમ કહી એક્ટિવા પર બેસાડી લઇ ગયો હતો. છાણી ગુરુદ્વારા સામે એક્ટિવા પહોંચી ત્યારે સુરેશે મોપેડ કરોડિયા તરફ લઇ ગયો હતો. જેથી સગીરાએ આ બાજુ કેમ લઇ જાઓ છો તેમ પુછતા તેણે પહેલા તેણે કરોડિયા તેમના કાકાને મળી લે પછી તેણી ફર્ટીલાઇઝર ઉતારશે. થોડા આગળ ગયા બાદ સુરેશ વાસફોડિયાએ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હતી.જેથી સગીરાએ ના પાડી હતી. ત્યારે આ શખ્સે આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા સગીરાએ એક્ટિવા ઉભી રાખવા માટે કહ્યું હતું. પરંતુ તેણે એક્ટિવા ઉભી રાખી ન હતી. જેના કારણે સગીરા એક્ટિવા પર કુદકો મારીને ઉતરી ગઇ હતી. દરમિયાન સુરેશ વાસફોડિયા કરોડિયા તરફ ભાગી ગયો હતો. જેથી સગીરાની માતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેની સુનાવણી 24 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી અને આ કેસ સ્પેશિયલ પોક્સો જજ તથા પાંચમાં એડિ. સેશન્સ જજ વડોદરા પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે સરકારી વકીલ તથા આરોપીના વકીલ દ્વારા દલીલો કરાઇ હતી. જે દલીલોનો ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટે આરોપી સુરેશ વાસફોડિયાને કસુરવાર ઠેરવીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:37 pm

સુરતમાં MLAની ઓફિસમાં નોકરી કરતા વ્યક્તિ સાથે ચેઇન સ્નેચિંગ:1.50 લાખની ચેન ખેંચી બાઈકચાલક ફરાર, પીછો કરતા છતાં પકડાયો નહીં: શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી

સુરત વિધાનસભાના ધારાસભ્યની ઓફિસમાં નોકરી કરતા હાર્દિક પટેલના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. હઠીલા હનુમાન મંદિર પાસે અજાણ્યા બાઈકચાલક હાર્દિક પટેલનો પૂછો કરી રહ્યા હતા. અજાણ્યો બાઇકચાલક આવીને હાર્દિક પટેલના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. અંધારાનો લાભ લઈ અજાણ્યો બાઈકચાલક 1.50 લાખના સોનાના ચેનની લૂંટ લેતા હાર્દિક પટેલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હઠીલા હનુમાન મંદિર પાસે પહોંચતા બાઈકચાલક પીછો કર્યો32 વર્ષીય હાર્દિક પટેલ સુરત વિધાનસભાના ધારાસભ્યની ઓફિસમાં નોકરી કરે છે. ગાંધીનગર વિધાનસભા વિસ્તારમાં કામ હોવાથી 15 ડિસેમ્બરે ગાંધીનગર આવ્યા હતા. જે બાદ કામ પૂરું થયા બાદ MLA ક્વાર્ટર્સમાં રોકાયા હતા. જે બાદ 21 ડિસેમ્બરના 7 વાગ્યા આસપાસ ફરિયાદી એક્ટિવા લઈને તેમના મામાના દીકરા સાથે મેમ્કો તરફ જઈ રહ્યા હતા. કુકરવાડા બેંકની સામે હઠીલા હનુમાન મંદિર પાસે પહોંચ્યા ત્યારે એક બાઈકચાલકે તેમનો પીછો કર્યો હતો. અંધારાનો લાભ લઈ અજાણ્યા બાઈકચાલક ફરિયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી મેમ્કો તરફ ભાગી ગયા હતા. અજાણ્યા બાઇકચાલક સામે ફરિયાદઅંધારું હોવાના કારણે ફરિયાદીએ બાઈકનો નંબર જોઈ શકાય નહતા. જોકે, તેમ છતાં ફરિયાદીએ અજાણ્યા બાઈકચાલકનો પીછો કરતા ટ્રાફિકના કારણે તેને પકડી શક્યા નહીં. તેમ છતાં આજુબાજુ તપાસ કરતા અજાણ્યા બાઈકચાલક ક્યાંય પણ મળી આવ્યા નહીં. 1.50 લાખનો ચેઇન સ્નેચિંગ કરી અજાણ્યા બાઈકચાલક ફરાર થઈ જતા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા બાઈકચાલકની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:34 pm

લોન ફ્રોડ કેસમાં 3 આરોપીઓને ત્રણ વર્ષની કેદ:આરોપીઓએ નકલી દસ્તાવેજો બનાવી ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ હેઠળ 2 કરોડની લોન મંજૂર કરાવી હતી

સીબીઆઈ કોર્ટ અમદાવાદ ત્રણ આરોપીઓને દોષી ઠેરવ્યા છે, જેમાં અંકુશ નાકરાણી, એવન ઈન્ટરનેશનલના પ્રોપ્રાઈટર, અશોક કઠરોટિયા અને હિમ્મત વડ્ડોદરિયા બંને જેમિશ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. તેમને ત્રણ વર્ષની કેદ અને દરેકને 50 હજાર રૂપિયાનો દંડ થયો છે. કંપની જેમિશ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડને પણ 50 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ હેઠળ લગભગ 2 કરોડની લોન મંજૂર કરાવીCBIએ આ કેસ 20 નવેમ્બર, 2013 ના રોજ નોંધ્યો હતો. આરોપી અંકુશ નાકરાણીએ નકલી બિલ ઓફ એન્ટ્રી અને અન્ય આયાત સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને ટેક્સટાઈલ મશીનરીની આયાત દર્શાવી હતી અને SIDBI સુરત પાસેથી ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ હેઠળ લગભગ 2 કરોડની લોન માટે અરજી કરી હતી, જે મંજૂર થઈ ગઈ હતી. આરોપીએ SIDBI સુરતને 63.12 લાખનું નુકસાન પહોંચાડ્યુંતપાસમાં સામે આવ્યું હતું કે, અંકુશ નાકરાણીએ અશોક કઠરોટિયા અને હિમ્મત વડ્ડોદરિયા સાથે મળીને આયાત કરેલી મશીનરી દર્શાવીને લોનના નાણાં મેળવ્યા અને SIDBI સુરતને 63.12 લાખનું નુકસાન પહોંચાડ્યું. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઈ મશીનરી આયાત થઈ જ નહોતી અને અંકુશ મધુભાઈ નાકરાણીએ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. કાર્યવાહી પૂરી થયા પછી CBIએ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અંકુશ નાકરાણી, જેમિશ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ, અશોક કઠરોટિયા અને હિમ્મત વડોદરિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:27 pm

ન્યુ VIP રોડથી દુર્લભ લુપ્ત પ્રજાતિના બે કાચબાનું રેસ્ક્યુ:VMC કર્મચારીના ઘરેથી સૂરજમુખી પ્રજાતિના કાચબા મળ્યા, રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવાયા

વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા અને કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં નોકરી કરતા કર્મચારીના ઘરેથી લુપ્ત જાતિના બે દુર્લભ કાચબા મળી આવતા વન વિભાગ અને ગાર્ડનના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ બનાવનો પર્દાફાશ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કર્મચારીએ મળેલી બાતમીના આધારે કર્યો હતો. આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દુર્લભ કાચબા કરી વન વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા. સૂરજમુખી જાતિના બે કાચબા હોવાની બાતમી મળીવડોદરા શહેરના ખોડિયાર નગરમાં 106 નંબરના મકાનમાં હરિભાઈ જયંતીભાઈ રાઠવા તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ કમાટીબાગના ફોરેસ્ટ વિભાગમાં જ કર્મચારી તરીકે નોકરી કરે છે. હરિભાઈ રાઠવા પાસે લુપ્ત થયેલ સૂરજમુખી નામની જાતિના બે કાચબા હોવાની બાતમી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર તુષાર ઉત્તેજ કારણે મળી હતી. જે બાતમીના આધારે તેઓએ ખોડિયાર નગરમાં રહેતા હરિભાઈ રાઠવાને ત્યાં તપાસ કરી હતી. વાઇલ્ડ લાઈફ સંસ્થાના કાર્યકરે બે કાચબા જપ્ત કર્યાતપાસ દરમિયાન તેઓએ કોઠી પાછળ સંતાડેલા બે કાચબા મળી આવ્યા હતા. જે કાચબા અતિ દુર્લભ તેમજ શિડયુલ એમાં આવતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જેથી વાઇલ્ડ લાઇફ સંસ્થાના કાર્યકર તુષાર ઉત્તેકરે વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. જેથી વન વિભાગના અધિકારીઓ ઉપરોક્ત સ્થળે આવી પહોંચ્યા હતા અને મળી આવેલા બે કાચબા જપ્ત કર્યા હતા. તે બાદ બંને કાચબાને સહી સલામત વન વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં ઘરમાં કાચબા રાખ્યાપ્રાથમિક તબક્કે વન વિભાગના અધિકારીઓની પૂછપરછમાં હરિભાઈ રાઠવાએ તેઓને તેમના ઘર નજીક આવેલા તળાવ પાસેથી તેમના બાળકોને મળી આવ્યા હોવાનું જણાવી રહ્યા હતા. જોકે પોતે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં તેઓએ સૌપ્રથમ મળી આવેલા કાચબા અંગેની જાણકારી કમાટીબાગના ફોરેસ્ટ વિભાગને અથવા ઝુ ક્યુરેટર અધિકારીને જાણ કરવાને બદલે તેઓએ પોતાના ઘરમાં જ કાચબા રાખી મૂક્યા હતાં તે એક શંકાસ્પદ તથા તપાસનો વિષય બન્યો છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં તેઓ હાલના તબક્કે તેમના નજીક આવેલા તળાવ કિનારે કાચબા ફરતા હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે આ કાચબા કોણ મૂકી ગયો અને ક્યારે મૂકી ગયો એ પણ તપાસનો વિષય બન્યો છે. આ પ્રકારના કાચબા પહાડી વિસ્તારમાં જોવા મળે છે ખોડિયાર નગરમાંથી કમાટીબાગના ફોરેસ્ટ વિભાગના કર્મચારીના ઘરેથી અતિ દુર્લભ અને લુપ્ત જાતિના સૂર્યમુખી પ્રજાતિના બે કાચબા મળી આવ્યા હતા. આ કાચબાની ખાસિયત એ છે કે તેઓ પહાડી વિસ્તારમાં જમીન પર જ રહે છે અને પાણીમાં છોડવામાં આવે મૃત્યુ પામે છે. કાચબાઓનો ખોરાક ફળ-પાંદડા વગેરે હોય છે. અલબત્ત શાકાહારી હોય છે. જેથી આ પ્રકારના કાચબાઓ પહાડી વિસ્તારમાં જ જોવા મળે છે. જોકે, સૂર્યમુખી પ્રજાતિના કાચબાની પ્રજાતિ લુપ્ત થઈ છે જે જવલ્લે જોવા મળે છે. 3 વર્ષની કેદ અને 3 લાખની સજાની જોગવાઈઅતિ દુર્લભ અને લુપ્ત પ્રજાતિના સૂરજમુખી બે કાચબા મળી આવતા વન વિભાગ પણ ચોકી ઉઠ્યું હતું. કાચબા વન્યજીવોના શિડયુલ વનમાં આવતા હોવાથી આ પ્રકારના કાચબા રાખનાર સજાને પાત્ર હોય છે, જેમાં 3 વર્ષની કેદ તથા 3 લાખની સજાની જોગવાઈ છે. આ પ્રકારના કાચબાનું આયુષ્ય 80 વર્ષનું હોય છે અને તે ખાસ કરીને પહાડી વિસ્તારો જમીન ઉપર જ રહેતા હોય છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:20 pm

વાડીએ પિતા સાથે બેઠેલા નવ વર્ષના બાળક પર દીપડાનો હુમલો:બગડુ ગામે દીપડાનો હિંસક હુમલો: ખેતરમાં બેઠેલા 9 વર્ષના બાળકને ખેંચી જઈ ગળાના ભાગે બચકા ભર્યા; ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો

જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના બાળક પર દીપડાએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પિતાની નજર સામે જ દીપડો બાળકને ખેંચીને વાડીની બીજી તરફ લઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢના રહેવાસી રવિભાઈ સોલંકી બગડુ ગામ પાસે ખેતરમાં ભાગ રાખીને ખેતીકામ કરે છે. આજે તેઓ પોતાના 9 વર્ષના પુત્ર માન સોલંકી સાથે ખેતરમાં બેઠા હતા, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. દીપડો એટલો હિંસક હતો કે રવિભાઈ કઈ સમજે તે પહેલા જ તે બાળકને મોઢામાં પકડીને ખેતરની બીજી બાજુ ખેંચી ગયો હતો. બાળકના પિતા રવિભાઈએ રડતા રડતા જણાવ્યું કે, દીપડો અચાનક આવ્યો અને મારા દીકરાને મારી નજર સામે જ ખેંચી ગયો. મેં હોબાળો મચાવતા દીપડો બાળકને મૂકીને નાસી છૂટ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ મારા દીકરાના ડોક, છાતી અને વાંસાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અમે તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છીએ. આ હુમલા બાદ બગડુ ગામ અને આસપાસના સીમ વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વન્ય જીવો હવે દિવસે પણ ખેતરોમાં હુમલા કરી રહ્યા હોવાથી ખેતમજૂરોમાં ડરનો માહોલ છે. ભોગ બનનાર પરિવારે વન વિભાગ પાસે માંગ કરી છે કે આ નરભક્ષી બનેલા દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે જેથી તે અન્ય કોઈ નિર્દોષનો ભોગ ન લે. ઈજાગ્રસ્ત બાળકના પિતાએ સરકાર પાસે આર્થિક સહાયની પણ માંગ કરી છે. ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવાર માટે બાળકની મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે, જેથી વન વિભાગના નિયમ મુજબ વળતર અને તબીબી સહાય વહેલી તકે મળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલના તબીબો બાળકની સારવાર કરી રહ્યા છે અને વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:17 pm

EDના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળે દરોડા:મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયેલા રૂ.7 કરોડના મની લોન્ડરિંગની તપાસ, ડિજિટલ અરેસ્ટ-સાઇબર ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી

ડિજિટલ અરેસ્ટની વારંવાર ઘટનાઓ બનવાં લાગી છે. ખાસ કરીને ગુજરાતમાં પણ આવી ઘટનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ડિજિટલ અરેસ્ટ સાઇબર ફ્રોડ કેસમાં મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લુધિયાણાના ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 11 સ્થળોએ EDએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન કર્યું હતું. પીડિતો પાસેથી 7 કરોડ પડાવી મલ્ટી ટ્રાન્જેક્શન કર્યુંપ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો કે, સાઇબર ઠગોએ પોતાને CBI અધિકારી તરીકે રજૂ કરી પીડિતને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી રૂ.7 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ વિવિધ રાજ્યોમાં હાયર કરાયેલા મ્યુલ એકાઉન્ટ્સ મારફતે તેનું મલ્ટી ટ્રાન્જેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. રૂમી કલિતાની PMLA હેઠળ ધરપકડકેસમાં સંડોવાયેલા રૂમી કલિતાની PMLA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા નાણાંના સ્ત્રોત, ટ્રાન્ઝેક્શન ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ ખુલાસા અને કાર્યવાહી થાય તેવી સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:58 pm

હાઇકોર્ટમાં મહત્વનો કાયદાકીય પ્રશ્ન:વિદેશી નાગરિક સહકારી ખાંડ મંડળીનો સભ્ય રહી શકે કે નહીં? ગણદેવી ખાંડ મંડળીનો મામલો

નવસારી જિલ્લાના ગણદેવી ખાંડ મંડળી સંબંધિત એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો છે, જેમાં સહકારી સંસ્થામાં વિદેશી નાગરિકની સભ્યતા અને વ્યવસ્થાપક કમિટીના સભ્યપદ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. રણજીત પટેલ ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયીઆ કેસની વિગત એવી છે કે, ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં રણજીત પટેલ વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રણજીત પટેલ અગાઉ ગણદેવી ખાતે રહેતા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા છે. તેમણે ભારતીય નાગરિકતા છોડી, અમેરિકાની નાગરિકતા સ્વીકારેલી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. વધુમાં, તેમનું નામ વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીની મતદાર યાદીમાં પણ નોંધાયું નથી. સભ્ય કે વ્યવસ્થાપક કમિટીની સભ્ય બની શકે નહીં?આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંડળીના અન્ય સભ્ય જીતેન્દ્ર દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે વ્યક્તિ ન તો ગણદેવીના રહેવાસી છે, ન તો ભારતીય નાગરિક છે, તેવી વ્યક્તિ સહકારી ખાંડ મંડળીની સાધારણ સભ્ય કે વ્યવસ્થાપક કમિટીની સભ્ય બની શકે નહીં. આ મુદ્દે તેમણે ખાંડ નિયમક સમક્ષ વિવિધ રજૂઆતો તથા વાંધાઓ દાખલ કર્યા હતા. જીતેન્દ્ર દેસાઈની રજૂઆત નામંજૂર કરાઈ હતીઆ રજૂઆતોના આધારે ખાંડ નિયમક દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સહકારી સમાજ અધિનિયમ, 1961ની કલમ 22 હેઠળ વિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી ન શકે તેવો કોઈ સ્પષ્ટ પ્રતિબંધક પ્રાવધાન નથી અને તેથી જીતેન્દ્ર દેસાઈની રજૂઆત નામંજૂર કરવામાં આવી હતી. કોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ ફરમાવીખાંડ નિયમકના આ હુકમથી અસંતોષ અનુભવી જીતેન્દ્ર દેસાઈએ એડવોકેટ અર્ચિત જાની મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, જેમાં અદાલતે પ્રાથમિક રીતે મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં લઈને તમામ પ્રતિવાદીઓને નોટિસ ફરમાવી છે. આ કેસમાં મહત્વનો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જે વ્યક્તિ સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં નિવાસ કરતી ન હોય તથા ભારતીય નાગરિક ન હોય, તેવી વ્યક્તિ સહકારી મંડળીની સાધારણ સભ્ય અથવા વ્યવસ્થાપક કમિટીના સભ્ય બની શકે કે નહીં. આ મુદ્દો ભવિષ્યમાં સહકારી સંસ્થાઓના સંચાલન અને ચૂંટણી પ્રક્રિયા માટે દિશાનિર્દેશક સાબિત થઈ શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:36 pm

16 કરોડની ટેક્સ ચોરીના કેસમાં આરોપીના જામીન નામંજૂર:કોર્ટનું નિરીક્ષણ- આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે

16.58 કરોડની ટેક્સ ચોરી કરવાના ગુનામાં કસ્ટમ્સ વિભાગે પકડેલાં આરોપી સોહીલ અફઝલ ખાનની જામીન અરજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એચ. ખંભાતીએ ફગાવી દેવાનો હુકમ કર્યો છે. આ હુકમમાં કોર્ટે નોંધ્યું છે કે, આ કેસના અરજદાર આરોપી દ્વારા તેની કંપની મારફતે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ જરૂરી લાઇસન્સ મેળવી તેની શરતો મુજબ આયાત માલ-સામાન પોતાની રજિસ્ટર્ડ પ્રિમાઈસીસમાં મેન્યુફેક્ચરિંગ અર્થે લઈ નહીં જઈ બારોબાર તેનું વેચાણ કરી ટેક્સ ચોરી કરી હોવાનું પ્રાથમિક તબક્કે ફલિત થાય છે. આયાત થયેલો માલ-સામાન જપ્તી પાત્ર બનતો હોવાથી કલમ 135 મુજબનો ગુનો અરજદાર આરોપીએ કર્યો હોવાનું પ્રાથમિક રીતે ફલિત થયા છે. આ સંગોજામાં આ ગુનાને હળવાથી લઈ શકા તેમ નથી. આરોપીને જામીન પર મુક્ત કરતા પુરાવા સાથે ચેડા થઈ શકેવધુમાં કોર્ટે એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે. આમ આ સંજોગોમાં હાલની અરજી મંજૂર થવા પાત્ર નથી. તેમજ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વળી આર્થિક પ્રકારના ગુનાને અન્ય ગુનાઓ કરતા જુદી રીતે મુલવવા જોઇએ અને જામીન આપતા સમયે તે અંગેની ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ત્યાર બાદ જામીન અરજીનો નિર્ણય કરવો જોઇએ. આરોપીએ રજૂ કરેલા ચુકાદાઓ હાલના કેસને મદદરૂપ નથીકોર્ટે એવું પણ નોંધ્યું છે કે, આ પ્રકારના ગુના દિન પ્રતિદિન બનતાં આવ્યા છે. જેથી ગુનાની ગંભીરતા ખૂબ જ વધી જાય છે. જેથી જો આવા પ્રકારના ગુનાને હળવાશથી લઇ જામીન પર મુક્ત કરવામાં આવે તો તેની ગંભીર અસર થાય તેમ છે. આરોપીપક્ષે રજૂ કરવામાં આવેલા ચુકાદાઓ વંચાણે લેવામાં આવે તો તેની હકીકત અત્રેના કેસની હકીકતો કરતાં અલગ જણાય છે. જેથી તે ચુકાદાઓ હાલના કેસને મદદરૂપ થતાં નથી. તેવા સંજોગોમાં ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 480 મુજબની જોગવાઇઓ મુજબ અદાલતે આરોપીને જામીન મુકત કરતી વખેત વિવેકાધીન સત્તા હાલના કેસમાં વાપરવી ન્યોયોચિત જણાતી ન હોય ન્યાયના હિતમાં આ હુક્મ કરવામાં આવે છે. આરોપીએ 16.58 કરોડની જીએસટી ટેક્સ ચોરી કર્યાના આક્ષેપોઅરજદાર આરોપી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર આરોપીને ખોટી રીતે કસ્ટમ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા અટક કરવામાં આવી છે. અરજદારે 4 ડિસેમ્બર 2025ના રોજ પુણે, મહારાષ્ટ્રના ટ્રાન્ઝીટ રિમાન્ડ હુકમના આધારે અરજદારને હાલના કામે અમદાવાદ મુકામે લાવી અટક કરવામાં આવી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનનો ભંગ કર્યો હોવાના આક્ષેપો મૂકવામાં આવ્યો છે અને તેમ કરી અરજદાર આરોપીએ 16.58 કરોડની જીએસટી ટેક્સ ચોરી કરી હોવાના આક્ષેપો કર્યા છે. આરોપીએ કોઇ આક્ષેપિત ટેક્સ ચોરી કરી નથીહકીકતમાં અરજદાર આરોપીએ કોઇ આક્ષેપિત ટેક્સ ચોરી કરી નથી. અરજદારની કંપની દ્વારા ભારત સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ તેમ જ લાગુ પડતાં કસ્ટમ નોટિફિકેશન મુજબ માન્ય મુક્તિ મળેલા ગુડસની આયાત કરવામાં આવી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કલમ 108 અન્વયે સમન્સ પાઠવવવામાં આવતાં અરજદાર ડિપાર્ટમેન્ટ સમક્ષ હાજર થયો છે. અરજદાર જરૂરી એવા તમામ લાઇસન્સ અને પરવાનગી મુજબ એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ મુજબ ધરાવે છે. અરજદારે કોઇ ટેક્સ ચોરી કરી નથી. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમની શરત નં. 5 ધ્યાને લેતાં તેનું પાલન ન થવાથી ફોરેન ટ્રેડ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એક્ટ 1992ની જોગવાઇ મુજબ પગલાં લેવા આવશ્યક છે. આ કાયદા મુજબ કાર્યવાહી આજદીન સુધી કરવામાં આવી નથી. પ્રોડકશન રિપોર્ટમાં આક્ષેપિત ગુનાઓ કોઇપણ જાતના આધાર પુરાવા વિરુધ્ધના છે. અરજદાર તબિયત ખરાબ હોવાથી હાજર થઇ શક્યા ન હતાવધુમાં અરજદાર તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા 27 જાન્યુઆરી 2023ના રોજ મે. શાર્લિક પોલીવિનાયલ પ્રા.લી. ની ફેકટરીમાં સર્ચની કાર્યવાહી કરવામાં આવતાં આરોપીના ભાઇ ફીરોજ અફઝલ ખાન ત્યાં હાજર હતા. તેમણે જરૂરી ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તા. 4 સપ્ટેમ્બર 2025 અને 9 સપ્ટેમ્બર 25ના રોજ હાલના અરજદારને સમન્સ પાઠવવામાં આવ્યું પરંતુ અરજદાર તબિયત ખરાબ હોવાથી ડિપાર્ટમેન્ટ સમક્ષ હાજર થઇ શક્યા ન હતા. આ ગુનામાં મહત્તમ સજાની જોગવાઇ 7 વર્ષની છેડિપાર્ટમેન્ટ દ્વારા અરજદાર સામે અત્રેની અદાલતમાં ખાની ફરિયાદ દાખલ કરવામાં આવતાં કોર્ટે અરજદાર સામે નોટિસ ઇસ્યુ કરી 30 ડિસેમ્બર 2025ના રોજ અદાલતમાં હાજર રહેવા હુક્મ કર્યો હતો. આ કાર્યવાહી પેન્ડિંગ હોવા દરમિયાન કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલના અરજદારની ખોટી રીતે અટક કરવામાં આવી છે. અરજદારે કોઇ આક્ષેપિત ગુનો કર્યો નથી. આ ગુનામાં મહત્તમ સજાની જોગવાઇ 7 વર્ષની છે. જેથી જામીન પર મુકત કરવા અરજ ગુજારી હતી. ફોરેન ટ્રેડ પોલિસીનો ભંગ કરી જીએસટી ટેક્સ ચોરી કરીકસ્ટમ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર ઇમરાનખાન પઠાણે એવી રજૂઆત કરી હતી કે, હાલના અરજદાર આરોપી દ્વારા તેમની કંપની મે. શાર્લિક પોલીવિનાયલ પ્રા.લી. મારફતે ફોરેન ટ્રેડ પોલિસી 2015 અને હેન્ડ બુક ઓફ પ્રોસીજર 2015ની જોગવાઇઓનો ભંગ કરી એડવાન્સ ઓથોરાઇઝેશન સ્ક્રીમ મુજબ આયાત કરેલા માલ સામાન પર જીએસટી ટેક્સ રૂ. 16.58 કરોડની ચોરી કરી છે. ઉપરોક્ત એડવાન્સ ઓથોરાઇઝેશન સ્ક્રીમ મુજબ આયાત થયેલા માલસામાન ઉપર ટેક્સ માફીની શરતો મુજબ આયાત માલસામાન મેન્યુફેક્ચરિંગ કર્યા બાદ તેની નિર્યાત વિદેશમાં કરવાની રહે છે. અને તે નિર્યાત થયેલા માલસામાન ઉપર આવશ્યક એવો ટેક્સ ભરવાનો રહે છે. ટેક્સ ચૂકવ્યા વિના માલસામાનની આયાત કરીઆ કેસના અરજદાર આરોપી દ્વારા તેમની કંપની મારફતે ઉપરોક્ત એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ મુજબ ટેક્સ ચૂકવ્યા વિના માલસામાનની આયાત કરી અને તે માલસામાનનું મેન્યુફેક્ચરિંગ પોતાની ફેકટરીમાં કરાવ્યા વિના સીધો જ આયાત થયેલો કાચો માલ બારોબાર બજારમાં અન્યને વેચીને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના 2015ના નોટિફિકેશનનો ભંગ કર્યો છે. આ કેસના તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આયાત કરવામાં આવેલા માલસામાન પોર્ટ પર લેન્ડીંગ થયા બાદ તે સામાન આરોપીની રજિસ્ટર્ડ થયેલી ફેકટરીમાં આગળની પ્રોસેસ માટે ગયો નથી. પરંતુ બારોબાર પુણે અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. દેશ વિરોધી કૃત્યમાં આરોપીની સંડોવણીઇ-વે બિલના આધારે ટ્રાન્સપોર્ટ વ્હીકલની મુવમેન્ટ જોતા સામાન આયાત થયા બાદ ઇ-વે બિલમાં જણાવેલ રજિસ્ટર્ડ પ્રિમાઇસીસ સિવાય અન્ય જગ્યાએ ગયો છે. આયાત થયેલો માલસામાન કંપનીની રજિસ્ટર્ડ થયેલી ફેકટરીમાં મેન્યુફેક્ચરિંગ માટે ગયો નથી. આમ કરીને અરજદાર આરોપી દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમનો ભંગ કરી 16.58 કરોડની કસ્ટમ ટેક્સ ચોરી કરવામાં આવી છે. ઉપરાંત સ્પેશિયલ પ્રોસિકયૂટર ઇમરાનખાન પઠાણે એવી દલીલ કરી હતી કે, દેશ વિરોધી કૃત્યમાં આરોપીની સંડોવણી છે. તમામ હકીકતોને ધ્યાનમાં લઇને જામીન અરજી નામંજુર કરવી જોઇએ. બંને પક્ષકારોની હકીકતો, રજૂઆતો, રેકર્ડ અને દલીલોને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે ઉપરોક્ત હુક્મ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:26 pm

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરી સાથે એક ઝડપાયો:SOGએ રૂ. 18,400ના 46 રીલ જપ્ત કર્યાં, ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિજય બારીયા નામના વ્યક્તિ પાસેથી રૂ. 18,400/-ની કિંમતના કુલ 46 ચાઇનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીની સૂચના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે, માલવણ-સુરેન્દ્રનગર રોડ પર આવેલા સેડલા ગામ તરફ જવાના રસ્તા પાસે એક ઇસમ સફેદ મીણીયાની થેલીમાં ચાઇનીઝ દોરીના રીલ લઈને ઊભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા વિજય બારીયા (ઉ.વ. 27, રહે. ખોડુ, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) મળી આવ્યા હતા. તેમની થેલીની તપાસ કરતા તેમાંથી પુઠાના બોક્સમાં રાખેલા ચાઇનીઝ દોરીના કુલ 46 રીલ મળી આવ્યા હતા. દરેક રીલની કિંમત રૂ. 400/- ગણતા કુલ રૂ. 18,400/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન વિજયે આ દોરી પોતાના કુટુંબી બનેવી મેહુલ ચંચાણી (રહે. પોરડા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આથી, વિજય બારીયા અને મેહુલ ચંચાણી બંને વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા, પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મહમદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ અંબારામભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:10 pm

કેશોદમાં નબીરાઓનો આતંક::પટેલ મીલ રોડ પર બેફામ સ્પીડે કાર ચલાવી 2 બાઈકને ઉડાવી;CCTV આવ્યા સામે,વેપારીઓએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો 2 ફરાર

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નબીરાઓ દ્વારા જાહેર રોડ પર બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. કેશોદના પટેલ મીલ કમ્પાઉન્ડ રોડ પર એક કાર ચાલકે સર્પાકારે (ઝીગ-ઝેગ) ગાડી દોડાવી રોડની સાઈડમાં પાર્ક કરેલા બે બાઈકને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પાર્ક કરેલી બાઈકો ફંગોળાઈ ગઈ હતી, સદનસીબે રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. ​વેપારીઓએ કારચાલકને દબોચ્યો, 2 મિત્રો ફરાર ​અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના સ્થાનિક વેપારીઓ એકઠા થઈ ગયા હતા. વેપારીઓએ સતર્કતા દાખવી કારચાલકને ઘટનાસ્થળે જ પકડી પાડ્યો હતો અને કેશોદ પોલીસને હવાલે કર્યો હતો. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કારમાં સવાર અન્ય બે યુવાનો તકનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્થાનિકોએ આ ત્રણેય યુવાનો વિરુદ્ધ કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.જેની બાઈકને નુકસાન થયું છે તેવા ભોગ બનનાર જયેન્દ્રભાઈએ આપવીતી જણાવતા કહ્યું કે, હું મારી દુકાને બેઠો હતો ત્યારે આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કારચાલક પૂરઝડપે આવ્યો હતો. અચાનક ધડાકાભેર અવાજ આવતા હું બહાર દોડી આવ્યો તો જોયું કે મારી પાર્ક કરેલી ગાડીને કારે જોરદાર ટક્કર મારી હતી. આ નબીરાઓ જે રીતે વાહન ચલાવે છે તેનાથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. ​કેશોદના રહેવાસીઓ અને વેપારીઓમાં આ અકસ્માતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો આવા બેફામ કાર ચલાવનારાઓ પર અંકુશ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે. સ્થાનિકોએ પોલીસ પાસે માંગ કરી છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનારા કે ભયજનક રીતે વાહન ચલાવનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. ​હાલ કેશોદ પોલીસે કારચાલકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ અને ભાગી છૂટેલા અન્ય બે શખ્સો કોણ હતા તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. સીસીટીવી ફુટેજને આધારે પુરાવા એકત્રિત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:08 pm

ચૈતર વસાવાએ 75 લાખના લાંચના આરોપો નકાર્યા:મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ₹75 લાખ માંગ્યા હોવાના આરોપ બાદ, ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને મનસુખ વસાવાને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા જણાવ્યું હતું.સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ આરોપ-પ્રત્યારોપના દોર વચ્ચે, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ₹75 લાખની માંગણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોના જવાબમાં, ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ કલેક્ટરે રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કલેક્ટરે ગઈકાલે ખુલાસો કર્યો કે મનસુખભાઈ ખોટું બોલી રહ્યા છે અને તેમની વાતો પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ માંગ કરી હતી કે મનસુખ વસાવાએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગવી જોઈએ. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, મનસુખ વસાવા છેલ્લા 30 વર્ષથી એકહથ્થુ શાસન ધરાવે છે, અધિકારીઓ અને પોલીસ તેમના પક્ષમાં છે. જો તેમની પાસે આવા કોઈ પુરાવા હોય તો તેમણે તે જાહેરમાં રજૂ કરવા જોઈએ. તેમણે મનસુખ વસાવાને આવી પાયાવિહોણી વાતો બંધ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો તેઓ આવી વાણીવિલાસ ચાલુ રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાની ભાજપ છોડવાની ધમકીને પણ વખોડી કાઢી હતી. તેમણે સવાલ કર્યો કે જ્યારે મનસુખ વસાવા તેમના વિરુદ્ધ નિવેદનો આપતા હતા, ત્યારે તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું હતું? અને હવે તેઓ ભાજપ સરકાર પર દબાણ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને દબાવવામાં આવે. ચૈતર વસાવાએ ભારપૂર્વક કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે છે, પણ પરાજીત નથી થતું. તેમણે મનસુખ વસાવાના ભાજપમાંથી રાજીનામું આપવાના નિવેદનોને માત્ર એક 'સ્ટંટ' ગણાવ્યા હતા. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો કે જો તેમને રાજીનામું આપવું હોય તો લોકસભાના અધ્યક્ષને તાત્કાલિક લેખિતમાં આપી દે, કોઈને કહેવાની જરૂર નથી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:00 pm

ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં તસ્કરો ઘર બહારથી કાર ચોરી ગયા:સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ચોરીની ઘટના, પોલીસ તપાસ શરૂ

પંચમહાલ જિલ્લામાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ગોધરા શહેરમાં ભરચક જાફરાબાદ વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલી એક ફોર વ્હીલ કાર ગણતરીની મિનિટોમાં ચોરાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાફરાબાદના સાયન્સ કોલેજ રોડ પર આવેલી શિવ જ્યોતિ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ કોડુમલ રાવલાણીએ પોતાની હ્યુન્ડાઈ i20 સ્પોર્ટ્સ કાર (નંબર GJ 17 BN 2692) 24 ડિસેમ્બર, 2025ની મધ્યરાત્રિએ પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે તપાસ કરતા માલૂમ પડ્યું કે રાત્રિના આશરે 02:30 થી 02:50 કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુરેશભાઈના ઘરની સામે રહેતા અમિતભાઈ લુહાણાના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં આ ચોરીની ઘટના કેદ થઈ છે. ફૂટેજ મુજબ, તસ્કરો ટાટા હેરિયર કારમાં આવ્યા હતા, જેમાંથી એક શખ્સ ઉતરીને i20 કાર ચોરી કરી નાસી છૂટ્યો હતો. કાર માલિકે સીસીટીવી ફૂટેજના આધારે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરી છે. તેમણે પોલીસ અધિક્ષકની કચેરી પંચમહાલ તથા ગોધરા શહેર પોલીસ મથકે લેખિત અરજી આપી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ અને ગાડીની આર.સી. બુકની નકલ રજૂ કરી તસ્કરોને ઝડપી પાડવા વિનંતી કરી છે. એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા કવાયત હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:56 pm

Editor's View: 'મિસ્ટર 10%' ની બાંગ્લાદેશ વાપસી:પાડોશમાં આતંક-કટ્ટરવાદ ધૂણશે, ચીન-પાક. માટે તારીક રહેમાન કેમ ખાસ? ભારત માટે મોટો ખતરો

અમેરિકી એમ્બેસીમાં લીક થયેલા દસ્તાવેજમાં જેમને ભ્રષ્ટાચારનો રાજકુમાર કહેવાયો હતો, તે વ્યક્તિ આજે તમામ સરકારી અને રાજકીય અવરોધોને પાર કરીને બાંગ્લાદેશ પહોંચ્યો છે. નામ છે તારીક રહેમાન. તેમના પર આરોપ છે કે 2004માં દેશના એ વખતના ભાવિ વડાંપ્રધાન શેખ હસીના પર ગ્રેનેડ વરસાવ્યા હતા જેમાં 24 લોકો મર્યા અને હસીના બચી ગયાં હતાં. પછી તે વ્યક્તિ લંડનમાં રિમોટ કંટ્રોલથી રાજકારણ રમ્યા અને હવે બાંગ્લાદેશની આવનાર ચૂંટણીમાં લગભગ પૂરા કંટ્રોલ સાથે સરકાર ચલાવશે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિશ્વ જ્યારે ક્રિસમસની ઉજવણીમાં જોતરાયું છે ત્યારે ઢાકાના રસ્તાઓ પર બુલેટપ્રુફ સિક્યોરિટી સાથે ડાર્ક પ્રિન્સની એન્ટ્રી થઈ છે. પણ આ ભીડ પાછળનો અસલી ખેલાડી તારીક રહેમાન છે કે અનસીન વિલન બીજું કોઈ છે? ભારતને આ ઘટનાઓથી કેટલું નુકસાન? આજે બાંગ્લાદેશમાં ચાલતી ઉથલ-પાથલ પરથી પરદો ઉઠાવીશું... નમસ્કાર.... તારીક રહેમાનનું બાંગ્લાદેશમાં આગમન એ કટ્ટરપંથી વિચારધારા અને ભારત વિરોધી માનસિકતાની રીએન્ટ્રી છે. પડદા પાછળ ચીન અને પાકિસ્તાનની જુગલબંધી વિલનના રોલમાં મનાઈ રહી છે. જેનો એક જ ઉદ્દેશ્ય છે ભારતને અસ્થિર કરવું. શેખ હસીના સરકારના ગયા પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઈતિહાસની સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયા છે. હસીના પર ગ્રેનેડ ફેંકનારને રાતોરાત ક્લિનચીટ આજે BNP પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારીક રહેમાન લંડનથી ઢાકા પહોંચ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમના માનમાં લાલ જાજમ બીછાવી હતી. રહેમાનને રાતો રાત ગ્રેનેડ હુમલામાંથી તો ક્લિન ચીટ મળી ગઈ છે. ટૂંક સમયમાં મની લોંડરિંગ અને ભ્રષ્ટાચારના કેસોમાંથી પણ ક્લિન ચીટ મળી શકે છે. હવે તેમના વિશે થોડી માહિતી મેળવી લઈએ કોણ છે તારિક રહેમાન? આતંકીઓ માટે મોકલ્યા હથિયાર ભરેલા ટ્રક? ઇતિહાસના પાના ઉથલાવીએ તો સમજાય છે કે આ ચહેરો ભારત માટે કેમ ખતરનાક છે. તારીક રહેમાન હવા ભવન એટલે કે BNP પક્ષના કાર્યાલયથી સમાંતર સરકાર ચલાવતા હતા. સરકારી સોદામાં થતા ભ્રષ્ટાચારમાં તેમનું કમિશન ચાલતું માટે જ તેમને મિસ્ટર 10 પર્સેન્ટ કહેવાતા હતા. આ એવો સમયગાળો હતો જ્યારે બાજપેયીજી અને ત્યાર બાદ UPA-1ની સરકાર હતી. બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતના સેવન સિસ્ટર વિસ્તારમાં આતંક ફેલાવવા માટે થતો હતો. ઉલફા આતંકી સંગઠન માટે હથિયારોથી ભરેલા 10 ટ્રક મોકલવાનો કેસ યાદ કરીએ તો ખબર પડે કે આ કામ પાછળ પરોક્ષ રીતે તારીક રહેમાનનું ભેજું હતું. આ ઈતિહાસ આપણને સમજાવે છે કે બાંગ્લાદેશ એવા ટાઈમ બોમ્બ પર બેસવા જઈ રહ્યું છે જે ફૂટશે તો દેશના ફૂરચા ઉડી શકે તેમ છે. રહેમાન જમાતને કાબૂમાં નહીં રાખી શકે તો…. તારીક રહેમાનની એન્ટ્રીને રાજકીય રીતે સમજીએ તો ફેબ્રુઆરી 2026ની બાંગ્લાદેશની ચૂંટણીમાં BNP અને જમાત એ ઈસ્લામીનું ગઠબંધન થશે અને તેમની જ સરકાર બનશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. જો કે બંને વચ્ચે આંતરિક ખેંચતાણ પણ છે જ પણ સત્તાના સિંહાસન માટે બાંધછોડ કરવી પડે છે. જો તારીક રહેમાન જમાત-એ-ઈસ્લામીને કાબૂમાં નહીં રાખી શકે તો બાંગ્લાદેશ અફઘાનિસ્તાન જેવી કટ્ટરતા તરફ જઈ શકે છે. બાંગ્લાદેશમાં સત્તાનાં 3 કેન્દ્ર આ ત્રિપાંખિયો જંગ દક્ષિણ એશિયાની શાંતિને ભસ્મ કરી શકે ભારત માટે 3 ખતરા પશ્ચિમ માટે તારિક રહેમાન પીડિત? પશ્ચિમના દેશો આ બનાવ લોકશાહી કહે છે. The Economist તેને New Dawn એટલે કે નવો સૂર્યોદય કહે છે, તો The New York Times તારીક રહેમાનને લોકપ્રિયતાનો પર્યાય ગણાવે છે. જોકે, ભારત માટે આ સ્થિતિ ભસ્માસુરને વરદાન આપવા સમાન છે. ઈનશૉર્ટ, શેખ હસીનાની રાજનીતિ ભારત-ચીન અને રશિયા તરફી હતી. જ્યારે તારીકના કેસમાં આ અલગ છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર સંઘર્ષ વધશે? હવે જુઓ કે કેવી રીતે ઢાકામાં થતી હિલચાલ ભારતને અસર પહોંચાડશે. લંડનમાં બેઠેલા તારીક રહેમાન એક નિવેદન આપે છે, ઢાકામાં ઇસ્કોનના ચિનમોય કૃષ્ણ દાસની ધરપકડ થાય છે અને તેની અસર શું થાય છે? સરહદો પર અને બે દેશમાં ઘર્ષણ વધે છે. આ બનાવો પરથી ભવિષ્યના સમયમાં અમુક શક્યતાઓ નજર આવી રહી છે. ભારત માટે ભવિષ્યની 5 સંભાવના 1) બાંગ્લાદેશમાં ચીનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધી શકે 2) સેવન સિસ્ટર વિસ્તારમાં ઘર્ષણ શક્ય 3) ભારતને રહેમાન સાથે સંબંધો સુધારવા પડે 4) હિંદુઓને પલાયન કરવું પડી શકે 5) ભારતે ડિફેન્સ બજેટ વધારવું પડે લોકશાહીમાં જનતા જેને ચૂંટે તે સાચું, પણ જ્યારે જનતાનો આક્રોશ કટ્ટરવાદના હાથમાં હથિયાર બની જાય ત્યારે નુકસાન માત્ર એક દેશને નહીં, આખા ક્ષેત્રને થાય છે. અને છેલ્લે... ઝારખંડના ગોડ્ડામાં અદાણી પાવરનો પ્લાન્ટ છે. જે બાંગ્લાદેશમાં વીજળી આપે છે. તારીક રહેમાનનો BNP પક્ષ આ પ્લાન્ટને દેશહિત વિરોધી કહે છે. માટે જ ડિસેમ્બર 2025માં બાંગ્લાદેશ સરકારે અદાણી પાવરને અંદાજે 7 હજાર કરોડના લેણામાંથી લગભગ 3600 કરોડ રૂપિયા ચૂકતે કર્યા છે. બીટવિન ધ લાઈન્સ આના પરથી સમજી શકાય કે બાંગ્લાદેશની આવનાર સરકાર ભારત સાથે કાવતરા તો કરી શકે છે પણ આર્થિક સંબંધો તોડી શકે એમ નથી. પાડોશી રાજ્યમાં આવતીકાલનો સૂરજ શું દેખાડશે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:55 pm

કોડીનારના મિતિયાજ ગામની મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી:ગામમાં દારૂના અડ્ડા બંધ કરવા માંગ, શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂનું વેચાણના આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામની મહિલાઓ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાઓએ પી.આઈ.ને લેખિત ફરિયાદ આપીને ગામમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની કડક માંગ કરી હતી. ફરિયાદમાં મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં દારૂના દુષણથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની સરકારી શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂના વ્યસનના કારણે અનેક પરિવારો પાયમાલ થયા છે, ઘણી મહિલાઓ વિધવા બની છે અને યુવાનો ભટકી રહ્યા છે. મહિલાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ અનેકવાર પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમને શંકા છે કે કેટલાક બુટલેગરો સાથે હપ્તાની ગોઠવણ થઈ હોય તેમ લાગે છે. પોલીસે મહિલાઓની રજૂઆત સાંભળીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે કોડીનાર પોલીસ ખરેખર કડક કાર્યવાહી કરે છે કે કેમ, તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:45 pm

126 કરોડના રોકાણ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:આરોપી ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને 3 વર્ષથી પોલીસથી બચતો રહ્યો

કરોડો રૂપિયાના શુકુલ ગ્રુપ કૌભાંડમાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપી ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 126 કરોડની છેતરપિંડી બાદ જ્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, ત્યારે આરોપી કોઈ અજાણ્યા શહેરમાં જવાને બદલે સુરતમાં જ નામ અને કામ બદલીને છુપાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પત્ની સાથે મળી ધનંજય બારડ ઓનલાઈન સાડી વેચવાના બહાને પોલીસથી બચતો રહ્યો હતો. જ્યારે 126 કરોડના રોકાણ કૌભાંડમાં પોલીસની તપાસ તેજ બની અને અન્ય સાગરીતો પકડાવવા લાગ્યા, ત્યારે ધનંજય બારડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. તે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેના વતન ગીર-સોમનાથ અને સુરતના વિવિધ વિસ્તારોમાં સતત રહેઠાણ બદલીને પોતાની ધરપકડ ટાળતો હતો. નવાઈની વાત એ છે કે, પોલીસની નજરમાંથી બચવા માટે તેણે પોતાની પત્ની સાથે મળીને સુરતમાં જ સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને શૂટના ઓનલાઈન વેચાણનો વ્યવસાય 'જીમી' નામે શરૂ કર્યો હતો. આરોપી ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મોનું કરોડોનું મેનેજમેન્ટ સંભાળતોકૌભાંડના સમયગાળા દરમિયાન ધનંજય 'શુકુલ શોબિઝ' કંપનીમાં ભાગીદાર તરીકે ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મોનું કરોડોનું મેનેજમેન્ટ સંભાળતો હતો. જે વ્યક્તિ એક સમયે ફિલ્મ નિર્માણના ક્ષેત્રે મોટું ગજું ધરાવતી હતી, તે વોન્ટેડ જાહેર થયા બાદ માત્ર એક નાનો ઓનલાઈન કપડાંનો વેપારી બનીને પોતાનું અસ્તિત્વ છુપાવી રહી હતી. આ વેશપલટો તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કર્યો હોવાનું મનાય છે. ટેકનિલક સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કે આરોપીનો પર્દાફાશ કર્યોપોલીસથી બચવા માટે આરોપી અત્યંત સાવચેતી રાખતો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કે તેની આ ગુપ્ત જીવનશૈલીનો પર્દાફાશ કર્યો હતો. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી આગમન રેસીડેન્સી પાસે તે હોવાની ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે વોન્ટેડ હોવા છતાં સુરતમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો હતો અને કાયદાથી બચવા સતત પ્રયત્નશીલ હતો. ધનંજયે કૌભાંડના નાણાંનો ઉપયોગ ક્યાં કર્યોપોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, ત્રણ વર્ષ સુધી વોન્ટેડ રહ્યા દરમિયાન ધનંજયે કૌભાંડના નાણાંનો ઉપયોગ ક્યાં કર્યો હતો. શુકુલ ગ્રુપની 26 કંપનીઓ દ્વારા ઉઘરાવાયેલા 126 કરોડ રૂપિયામાં ધનંજયનો હિસ્સો કેટલો હતો અને આ કપડાંના વ્યવસાયમાં તેણે રોકાણ કર્યું હતું કે કેમ, તે અંગે ઇકો સેલ ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે. હાલમાં તેની ધરપકડથી રોકાણકારોમાં ન્યાયની આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:27 pm

સાબરકાંઠામાં સિંચાઈનું બીજું પાણ શરૂ:હાથમતી-ગુહાઈ જળાશયમાંથી પાણી છોડાયું, પ્રથમ પાણ પૂર્ણ

સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈ માટેનું પ્રથમ પાણ પૂર્ણ થયા બાદ હવે બીજા પાણની શરૂઆત કરવામાં આવી છે. હિંમતનગરના હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લાના ચાર જળાશયો દ્વારા છ તાલુકાના કુલ 152 ગામોમાં 11,200 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. જિલ્લાના ચાર મુખ્ય જળાશયો પૈકી ત્રણ જળાશયો 100 ટકા ભરાયેલા છે, જ્યારે એક જળાશય 76 ટકા ભરાયેલું છે. સિંચાઈ વિભાગ દ્વારા નવેમ્બર 2025થી એપ્રિલ 2026 સુધીના સમયગાળા માટે જરૂરિયાત મુજબ પાણ નક્કી કરવામાં આવે છે. હાથમતી જળાશયમાંથી 5 પાણ અપાશે જિલ્લા સિંચાઈ વિભાગની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, હિંમતનગરનું હાથમતી જળાશય 100 ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે કુલ પાંચ પાણ આપવાનું નક્કી કરાયું છે, જે 20 નવેમ્બર 2025થી 20 માર્ચ 2026 દરમિયાન અપાશે. હાથમતી જળાશયની કેનાલ દ્વારા હિંમતનગરના 33, પ્રાંતિજના 43, દહેગામના 5 અને ગાંધીનગરના 9 ગામો સહિત કુલ 90 ગામોમાં 7000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ગુહાઈ જળાશયમાંથી 6 પાણ અપાશે હિંમતનગર નજીક આવેલું ગુહાઈ જળાશય પણ 100ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન છે, જે 12 ઓક્ટોબર 2025થી 2 એપ્રિલ 2026 સુધી અપાશે. ગુહાઈ જળાશયમાંથી હિંમતનગર તાલુકાના 28 ગામોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, જેનાથી 3000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. હરણાવ જળાશયમાંથી 7 પાણ અપાશેવિજયનગરનું હરણાવ જળાશય પણ 100 ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે સાત પાણ આપવાનું નક્કી કરાયું છે, જે 15 નવેમ્બર 2025 થી 15 માર્ચ 2026 સુધી અપાશે. હરણાવ જળાશયની કેનાલ દ્વારા વિજયનગરના 12 અને ખેડબ્રહ્માના 11 ગામો સહિત કુલ 23 ગામોમાં 700 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ખેડવા જળાશયમાંથી 6 પાણ અપાશે ખેડબ્રહ્માનું ખેડવા જળાશય 76 ટકા ભરાયેલું છે. આ જળાશયમાંથી સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન છે, જે 17 નવેમ્બર 2025થી 15 માર્ચ 2026 સુધી અપાશે. ખેડવા જળાશયમાંથી ખેડબ્રહ્મા તાલુકાના 11 ગામોને કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, જેનાથી 500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:16 pm

વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવની રંગારંગ પુર્ણાહુતિ:બે મહિના સુધી વિવિધ વય જૂથના અઢી લાખ રમતવીરોએ કૌશલ્યનું પ્રદર્શન બતાવ્યું, વડાપ્રધાન વર્ચ્યુઅલ જોડાયા

વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા શહેરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવની આજે એમ.એસ યુનિવર્સિટીના ચં.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજિત જાહેર સમારોહમાં રંગારંગ પૂર્ણાહુતી થઈ હતી. પૂર્ણાહુતી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાઈ સિદ્ધિપ્રાપ્ત રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરો સાથે સુંદર સંવાદ પણ સાધ્યો હતો. ખેલ મહોત્સવને નગરજનોનો જબ્બર પ્રતિસાદ સાંપડતા લાગ લગાટ બે મહિના સુધી રમત નગરી રમતના રંગે રંગાઈ હતી. શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના આહવાનને અનુલક્ષીને શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા સતત બીજા વર્ષે શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત નગરીના નગરજનોએ સાંસદના આયોજનને એક અનોખા ઉત્સાહ અને ઉમંગ સાથે આવકારી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. રમતવીરોએ અલગ અલગ ઇન્ડોર-આઉટડોર રમતોમાં ભાગ લીધોશહેરમાં ગત 8 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવેલા સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ વય જૂથના રમતવીરોએ અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લઈ પોતાની રમત પ્રત્યેની રુચિ અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરી સાંસદના આયોજનને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. શહેરના નાના-મોટા ઉદ્યોગો તેમજ સંસ્થાઓ ઉપરાંત પાવર ગ્રીડ, આઈઓસીએલ, ગેઈલ, તેમજ ઓએનજીસી જેવા ઉદ્યોગોએ પણ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ રમતોત્સવના આયોજનને પાર પાડવા ઉમદા સહકાર પૂરો પાડ્યો હતો. મોટી સંખ્યામાં રમત નગરીના નગરજનો જોડાયારમતોત્સવના સમારોહ પ્રસંગે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ રશિક ભાઇ પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી તથા સભ્યો સહિત મોટી સંખ્યામાં રમત નગરીના નગરજનો જોડાયા હતા. અટલજીના અનમોલ યોગદાનનું સ્મરણ કર્યુંઆજે 25મી ડિસેમ્બરે ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટાલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે ઓડિટોરિયમમાં એકત્રિત સૌ રમતવીરોએ દેશની પ્રગતિ અને વિકાસમાં અટલજીના અનમોલ યોગદાનનું સ્મરણ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી સ્મરણાજલિ આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:05 pm

જૈન ધર્મગુરુ આચાર્ય પ્રબોધચંદ્રસુરિશ્વરજી મહારાજની વાપી પોલીસ મથકે પધરામણી:અધિકારીઓ-કર્મચારીઓને આશીર્વાદ આપી શાંતિની કામના કરી

વાપી ટાઉન પોલીસ મથકે જૈન ધર્મગુરુ આચાર્ય પ્રબોધચંદ્રસુરિશ્વરજી મહારાજ સાહેબ, જે 'ચકાચક દાદા' તરીકે પણ ઓળખાય છે, તેમણે પધરામણી કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા. મહારાજ સાહેબે પોલીસ મથકમાં પાઠનું પઠન કર્યું હતું, જેનાથી સમગ્ર પોલીસ મથકનું વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. તેમણે ફરજ પરના પોલીસ કર્મચારીઓની સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે, તેમણે સમાજમાં શાંતિ, સુખ અને સલામતી જળવાઈ રહે તેવી કામના વ્યક્ત કરી હતી. વધુમાં, તેમણે પોલીસ મથકે આવતા તમામ અરજદારો અને મુલાકાતીઓના કાર્યો સફળતાપૂર્વક અને કોઈ પણ વિઘ્ન વિના પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. મહારાજ સાહેબની આ પાવન પધરામણીથી પોલીસ મથકનું વાતાવરણ આધ્યાત્મિકતા અને પ્રસન્નતાથી ભરાઈ ગયું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:00 pm

અમદાવાદમાં ભુલાતી જતી પરંપરાગત વાનગીઓની સ્પર્ધા યોજાઈ:70 મહિલાઓએ બાજરી, રાગી, જુવાર અને ભાજીઓનો ઉપયોગ કરી 150 વાનગીઓ બનાવી

આજના ફાસ્ટ ફૂડના યુગમાં આપણે આપણી જૂની અને પૌષ્ટિક વાનગીઓને ભૂલી રહ્યા છીએ, ત્યારે શહેરની સૃષ્ટિ સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે સંસ્થાના પરિસરમાં 'વિરસતી વાનગીઓ'ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 70 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમણે બાજરી, રાગી અને અનેક ધાન્યોમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. સૃષ્ટિ સંસ્થા ખાતે 'વિસરાતી વાનગી સ્પર્ધા'નું આયોજનશહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સૃષ્ટિ સંસ્થા ખાતે આજે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ અહીં 'વિસરાતી વાનગી સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની પેઢીમાં વિસરાઈ રહેલી પૌષ્ટિક વાનગીઓને ફરીથી રોજિંદા જીવનમાં અપનાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. 70 મહિલાઓએ અવનવી વાનગીઓ રજૂ કરીસામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં ઘઉં, ચોખા અને મકાઈનો જ વધુ ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ હરીફાઈમાં અંદાજે 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓએ મિલેટ (બાજરી, રાગી, જુવાર) અને ભાજીઓનો ઉપયોગ કરી અવનવી વાનગીઓ રજૂ કરી હતી. સ્પર્ધામાં બનેલી વાનગીઓ બહેનોએ પોતાની રસોઈ કળાથી સૌના મન જીતી લીધાઆ હરીફાઈની સૌથી મોટી વિશેષતા એ હતી કે કોઈપણ વાનગીમાં મેંદો, પનીર, ચીઝ, સોડા કે ફૂડ કલર જેવા હાનિકારક પદાર્થોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બહેનોએ પોતાની રસોઈ કળા અને સજાવટ દ્વારા સૌના મન જીતી લીધા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:57 pm

હિટ એન્ડ રન:હુડકો ચોક નજીક રસ્તો ઓળંગતા વૃદ્ધાને કારે ઠોકરે લેતા પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું, દંપતી રાજકોટ દીકરીના ઘરે જતું'તું

રાજકોટ શહેરમાં હુડકો ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બેફામ સ્પીડમાં આવેલી સ્કોર્પિયો કારે રસ્તો ઓળંગતા વૃદ્ધાને ઠોકરે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. મૂળ બાંટવાનું વૃદ્ધ દંપતી રાજકોટ દીકરીના ઘરે જતું હોય ત્યારે અકસ્માત નડ્યો હતો. બનાવમાં મૃતકના પતિની ફરિયાદ ઉપરથી આજીડેમ પોલીસે અજાણ્યા કાળા કલરના સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા સ્કોર્પિયો ચાલક સામે ફરિયાદ દાખલ માણાવદર તાલુકાના બાંટવા ગામે સરકારી હોસ્પિટલની સામે કૃષ્ણપરા શેરી નંબર 3માં રહેતા અને વાળંદ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રાગજીભાઈ શામજીભાઈ મારુ (ઉં.વ.76)એ આજીડેમ પોલીસ મથકમાં અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલક સામે પોતાના પત્ની ઈન્દુબેન (ઉ.વ.63)ને હડફેટે લઈ તેનું મોત નિપજાવી ભાગી જવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં પાંચ દીકરીઓ તથા એક દીકરો છે. ગઈકાલે બપોરના 3.45 વાગ્યે જેતપુરથી રાજકોટ મારી દીકરીના ઘરે આવવા માટે એસ.ટી બસમાં બેસીને નીકળ્યા હતા અને મારી સાથે મારા પત્ની હતા. સાંજના 6.30 વાગ્યે અમે રાજકોટ આવ્યા હતા ગોંડલ ચોકડી ઉતરી, રીક્ષામાં બેસી હુડકો ચોકડી પહેલા આવતી રામાધણી હોટલની સામે ઉતર્યા હતા. 7 વાગ્યા આસપાસ અમે ચાલીને સામે સ્વાતી પાર્કની મેઇન રોડ ખોડલધામ શેરી નંબર 2માં રહેતી મારી દીકરીના ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે અમે મેઇન હાઈવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોંડલ ચોકડી તરફથી એક સ્કોર્પિયો કાર પુર ઝડપે આવી અને મારી પાછળ ચાલીને આવતી મારી પત્નીને સીધી હડફેટે લઇ કાર ચાલક નાસી ગયો હતો. અકસ્માતના પગલે મારી પત્નીને માથાના ભાગે તેમજ શરીરે ઈજા થતા બેભાન થઈ ગયા હતા. બનાવ અંગે મેં ફોનથી મારા જમાઈ હિતેશ મગનભાઈ ગોહેલને જાણ કરતા તેઓ આવી જતા 108માં મારી પત્નીને બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અહીં ઇમરજન્સીમાં ફરજ પરના ડોક્ટરે મારી પત્નીને તપાસી રાત્રે 7.45 વાગ્યે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:50 pm

ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાતે:નવલખી મેદાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે શહેરના નવલખી મેદાનમાં જીવનયાત્રાનું પ્રદર્શન પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખૂલ્લું મૂક્યું હતું. બાદમાં નવલખીમાં આયોજિત ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંયા રોજે રોજ હજારો લોકો પ્રદર્શન જોવા લોકો આવતા હોય છે, ત્યારે અહીં મુકાયેલા અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાના પ્રદર્શનનો લ્હાવો લઇ શકશે. અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાનું પ્રદર્શન નિહાળ્યુંશહેરના નવલખી મેદાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રા પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મેયર પિન્કીબેન સોની, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, ધારાસભ્યો સહિત ભાજપા અગ્રણીઓએ પ્રદેશ ભાજપ પ્રમુખનું સ્વાગત કર્યું હતું. બાદમાં પ્રદેશ પ્રમુખે અટલ બિહારી વાજપેયીની છબીને પુષ્પ ચડાવી પ્રદેશનને નિહાળ્યું હતું. આ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આયોજીત પ્રદર્શન પણ નિહાળ્યું હતું. અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવામાં આવશેઆ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીના 100માં જન્મ દિવસના વર્ષને અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજપાઇની જીવન યાત્રાનું પ્રદર્શન નિહાળવું જોઇએશહેર ભાજપા દ્વારા પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વાજપેયીના 1924ના જન્મથી લઈ 2018 સુધીની રાજકીય સફરનો પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપાના દરેક કાર્યકરો સહીત શહેરીજનોએ વાજપાઇની જીવન યાત્રાનું પ્રદર્શન નિહાળવું જોઇએ અને તેમના વિચારો જીવનમાં ઉતારીને અમલ કરવો જોઇએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:47 pm

હિંમતનગર રેલવે સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર લગાવવાનું શરૂ:લાંબા રૂટની ટ્રેનોના મુસાફરોને કોચ શોધવામાં સરળતા થશે

હિંમતનગર રેલવે સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આનાથી લાંબા રૂટની ટ્રેનોના મુસાફરોને પોતાના કોચ શોધવામાં સરળતા રહેશે, ખાસ કરીને ઓછા સ્ટોપેજ સમયવાળી ટ્રેનોમાં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો ટૂંકા સમય માટે રોકાય છે. આ કારણે મુસાફરોને પોતાનો કોચ શોધવામાં મુશ્કેલી પડતી હતી અને ઘણીવાર તેઓ ટ્રેન ચૂકી જતા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે આ ઈન્ડિકેટર મહત્વપૂર્ણ સાબિત થશે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર કોચ ઈન્ડિકેટર લગાવવા માટે 24 ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં ટ્રેન્ચ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પોલ ઊભા કરીને ઈન્ડિકેટર લગાવવામાં આવશે. આ ઈન્ડિકેટર લાગવાથી મુસાફરો સરળતાથી પોતાના કોચમાં બેસી શકશે. આ કામગીરીને કારણે નવા વર્ષથી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:43 pm

સાંસદ ખેલ મહોત્સવ-2025નો હિંમતનગરમાં સમાપન સમારોહ યોજાયો:આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાવવાનો અને ગ્રામીણ પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો હતો. આ સમારોહ 25 ડિસેમ્બર, સુશાસન દિવસના પવિત્ર અવસરે યોજાયો હોવાથી તેનું મહત્વ વધી ગયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓએ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ યુવાનોમાં શિસ્ત, એકતા અને ખેલદિલી શીખવતું એક મહા-અભિયાન છે. તેમણે ઉમેર્યું કે, રમતનું મેદાન જીવનના પાઠ શીખવે છે અને મેદાનમાં મળેલી હાર કે જીત કરતાં પણ સંઘર્ષ કરવાની ભાવના વધુ મહત્વની છે. મંત્રીશ્રીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામડાઓમાં છુપાયેલી પ્રતિભાઓને ઓળખી તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકાવવાનું લક્ષ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે સરકાર રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ સૌનું સ્વાગત કરી ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામડાના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કબડ્ડી, કરાટે અને એથ્લેટિક્સમાં ખેલાડીઓએ બતાવેલા કૌશલ્યને સાબરકાંઠામાં રમતગમતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત ગણાવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન કબડ્ડી, એથ્લેટિક્સ અને કરાટે જેવી વિવિધ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્યો મહેન્દ્રસિંહ બારૈયા અને અશ્વિન કોટવાલ, કરાટે કોચ જુજારસિંહ કે વાઘેલા સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:38 pm

શિક્ષિકા સાથે રૂ. 2.12 લાખની છેતરપિંડી:ઇન્સ્ટાગ્રામ પર મેરેજ સોલ્યુશનના બહાને ઠગબાજોએ પૈસા પડાવ્યા

જલાલપોર તાલુકાની એક શિક્ષિકાને ઇન્સ્ટાગ્રામ પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન'ના બહાને રૂ. 2.12 લાખથી વધુની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. ઠગબાજોએ મનપસંદ યુવક સાથે લગ્ન કરાવવાના બહાને જુદા જુદા ચાર્જ પેટે આ રકમ પડાવી લીધી હતી. નવસારીના જલાલપોર તાલુકાના એક ગામમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત યુવતીએ સપ્ટેમ્બર મહિનાની 9મી તારીખે ઇન્સ્ટાગ્રામ પર 'મોહમ્મદ બિલાલભાઈ' નામની આઈડી પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન'ની જાહેરાત જોઈ હતી. તેણે પોતાના પરિવારજનો મનપસંદ યુવક સાથે લગ્ન માટે રાજી ન હોવાની સમસ્યા જણાવી હતી. ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેને એક વોટ્સએપ નંબર આપવામાં આવ્યો હતો. ઠગબાજોએ વાતોમાં ફસાવી અને સમસ્યાનું સમાધાન લાવવાના બહાને જુદા જુદા ચાર્જ પેટે પૈસાની માંગણી કરી હતી. શિક્ષિકાએ પોતાના અને પરિવારના બેંક એકાઉન્ટમાંથી ઠગબાજો દ્વારા મોકલેલા સ્કેનર અને બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી હતી. જોકે, આટલી રકમ ચૂકવ્યા છતાં લગ્નની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા, શિક્ષિકાએ વોટ્સએપ પર મેસેજ કરીને પૈસા પાછા માંગ્યા હતા. સામેવાળા વ્યક્તિએ જણાવ્યું કે, ઉપરના હાજી સાથે વાત કરવી પડશે અને તમારી દુઆ અંતિમ તબક્કામાં છે. આ કહીને વધુ રૂ. 50,000ની માંગણી કરવામાં આવી હતી, જે પણ શિક્ષિકાએ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ શિક્ષિકાએ ફોન, વોટ્સએપ કોલ અને મેસેજ કર્યા છતાં કોઈ જવાબ ન મળતા તેને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મરોલી પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પી.આઈ. એસ.આર. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:25 pm

સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કોલસા ખનન પર દરોડા:રૂ. 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત, 25 મજૂરોનું રેસ્ક્યુ કરાયું

સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલા નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડ્યા હતા. 25 ડિસેમ્બર, 2025ના રોજ બપોરના સમયે રેવન્યુ સર્વે નંબર 931 (સરકારી પડતર) વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ ટ્રેક્ટર, ચાર જનરેટર મશીન, આઠ ચરખી, આઠ બકેટ, ચાર બાઇક અને 100 મેટ્રિક ટન કોલસો સામેલ છે. જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ સાયલા મામલતદારને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોલસાના કૂવામાંથી 25 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તપાસના અંતે જે ઈસમોના નામ સામે આવશે, તે ઈસમો તેમજ વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) મુજબ કાર્યવાહી કરવા સાયલા મામલતદારને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સંડોવાયેલા તમામ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવા માટે પણ સાયલા મામલતદારને નિર્દેશ આપવામાં આવ્યા છે. ચોરવીરા ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:21 pm

ગોધરામાં સાંસદ ખેલ મહોત્સવના સમાપનમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાયા:20 દિવસ ચાલેલા મહોત્સવમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કૃત કરાયા

ગોધરા શહેરના કનેલાવ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 20 દિવસીય સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને પુરસ્કૃત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાઓમાં દેશના ખેલાડીઓ વધુ સક્ષમ બને તે હેતુસર સમગ્ર દેશમાં આવા રમતોત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ 20 દિવસ અગાઉ શરૂ થયો હતો, જેમાં વિવિધ કક્ષાએ ટુર્નામેન્ટ્સ યોજાઈ હતી. ખોખો, ફૂટબોલ, એથલેટિક્સ, યોગા અને કબડ્ડી જેવી રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓને આગામી રમત સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમાપન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:21 pm

વલસાડમાં વર્ષો જૂના કચરાના ઢગલાઓ ગાયબ થશે:નગરપાલિકાએ કચરા પ્રોસેસિંગની તૈયારીઓ શરૂ કરી

વલસાડ નગરપાલિકાએ વર્ષો જૂના કચરાના ઢગલાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઔરંગા નદીને પ્રદૂષિત થતી બચાવવા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ચોમાસામાં ઉપરવાસના વરસાદને કારણે નદીમાં પાણી વધે છે અને ડમ્પિંગ સાઇટ પરથી કચરો નદીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, નગરપાલિકાઓને વર્ષો જૂના કચરા (Legacy Waste) ના નિકાલ માટે વિશેષ ગ્રાન્ટ અને કાર્યપદ્ધતિ સૂચવવામાં આવી છે. વલસાડ નગરપાલિકાએ આ યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર પણ જારી કરી દીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ, ડમ્પિંગ સાઇટ પર જમા થયેલા કચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરીને તે જગ્યાને સંપૂર્ણપણે સાફ કરવામાં આવશે. કચરાના પ્રોસેસિંગ માટે અંદાજે રૂ. 400 પ્રતિ ટનનો ભાવ નક્કી કરાયો છે. હાલમાં સાઇટ પર જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની અને પ્રોસેસિંગ યુનિટ માટે વીજ કનેક્શન મેળવવાની કામગીરી ચાલી રહી છે. વર્ષોથી જમા થયેલો કચરો ચોમાસામાં નદીઓમાં ભળીને પ્રદૂષણ ફેલાવતો હતો. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ, પર્યાવરણને થતું નુકસાન અટકાવવા આ પ્રોસેસિંગ અનિવાર્ય બન્યું છે. આગામી સપ્તાહથી આ કામગીરી પૂર્ણ સ્તરે શરૂ કરી દેવામાં આવશે. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, એકવાર જૂના કચરાનો નિકાલ થયા બાદ, નવી પ્રોસેસિંગ સાઇટ પર રોજેરોજના કચરાનો નિકાલ કરવામાં આવશે. આનાથી ભવિષ્યમાં ફરીથી કચરાના ઢગલા થતા અટકશે અને શહેર વધુ સ્વચ્છ બનશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:15 pm

બહુચરાજીમાં તપોધન બ્રાહ્મણ સમાજની સભા યોજાઈ:તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રતિભાઓનું સન્માન; શતાબ્દી ઉજવણીની તૈયારીઓ શરૂ

ગુજરાતભરમાં વસતા તપોધન બ્રાહ્મણોના સૌથી મોટા સંગઠન, ચુવાળ વઢીયાર ઝાલાવાડ નળકાંઠા બ્રાહ્મણ સમાજની સામાન્ય સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાશાળી વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ ગુરુવારે બપોરે યાત્રાધામ બહુચરાજી ખાતે સમાજના ગૌતમ ભુવન કાર્યાલયમાં યોજાયો હતો. આ પ્રસંગે સમાજની શતાબ્દી ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. ભેસાણા ગામના વતની અને નિવૃત્ત શિક્ષિકા મંજુલાબેન બાબુરામ રાવલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. મેનેજિંગ ટ્રસ્ટી ગૌતમભાઈ રાવલે જણાવ્યું કે, સમાજની પ્રેરણા લઈને અન્ય સમાજોએ સમૂહ લગ્નની પ્રથા અપનાવી છે, ત્યારે આપણે આપણી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જરૂર છે. પૂર્વ પ્રમુખ વ્રજલાલ રાવલે માહિતી આપી હતી કે, તપોધન બ્રાહ્મણ સમાજના આ સંગઠનની સ્થાપના 99 વર્ષ પહેલાં થઈ હતી. 2027માં તેની 100 વર્ષની ઉજવણી માટે એકતાપૂર્વક યાદગાર કાર્યક્રમ આયોજિત કરવા આજથી જ વિચારણા શરૂ કરવી પડશે. મંજુલાબેન રાવલે બહેનોને દરેક ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે દીકરી ધ્રુવી રાવલે નારી શક્તિ અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર સમાજના સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવનાર ભેટ વગેરેની જાણકારી રજૂ કરાઈ હતી. સમાજના બંધારણમાં સુધારો કરવા માટે એક કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ત્રણ વર્ષ માટેના ઇનામ વિતરણના દાતાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ ઉપરાંત વિવિધ રમતો, કૌશલ્ય, એમબીબીએસ, ફિઝિયોથેરાપી જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનારા અને સરકારી નોકરી મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ દિલીપભાઈ રાવલ, વજુભાઈ રાવલ, રમેશભાઈ રાવલ, વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ રાવલ, ટ્રસ્ટી રવિશંકરભાઈ રાવલ, મંત્રી સુરેશભાઈ રાવલ, ઉપપ્રમુખ સૂર્યકાન્તભાઈ રાવલ, કોષાધ્યક્ષ મહેશભાઈ ઠાકર, અલ્પેશ રાવલ, વિભાગીય પ્રમુખ મનુભાઈ રાવલ, મુકેશભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. વિજયભાઈ ધનેશ્વરભાઈએ ભોજનદાતા તરીકે સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:12 pm

કિસાન સૂર્યોદય યોજનાથી બોટાદ જિલ્લાના 184 ગામોના ખડૂતોને લાભ:દિવસે ખેતી માટે વીજળી મળતા ખેડૂતોને રાત્રિની મુશ્કેલીમાંથી મુક્તિ

બોટાદ જિલ્લાના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો મહત્વપૂર્ણ લાભ મળ્યો છે. રાજ્ય સરકારની આ ખેડૂતલક્ષી યોજના અંતર્ગત હવે બોટાદ જિલ્લાના કુલ 184 ગામોમાં ખેતી માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો ઉપલબ્ધ થયો છે. આનાથી ખેડૂતોને રાત્રિના સમયે સિંચાઈ કરવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં અમલમાં મુકાયેલી કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સૂર્યપ્રકાશના સમયગાળા દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો છે. આ યોજનાથી ખેતી વધુ સુરક્ષિત, સુગમ અને ટકાઉ બની છે. દિવસે વીજળી મળવાથી રાત્રિના સમયે ખેતી કરવા જતાં થતી દુર્ઘટનાઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બોટાદ જિલ્લામાં હાલમાં 64 ગામોમાં એક શિફ્ટમાં અને 120 ગામોમાં બે શિફ્ટમાં દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દિવસ દરમિયાન સિંચાઈ શક્ય બનતાં ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન વધતાં ખેડૂતોની આવકમાં પણ વધારો નોંધાયો છે. દિવસે ખેતી માટે વીજ પુરવઠો ઉપલબ્ધ થતાં બોટાદ જિલ્લામાં કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને ખેડૂતો વધુ આત્મનિર્ભર બની રહ્યા છે. આ માહિતી બોટાદ જિલ્લા પીજીવીસીએલના અધિક ઈજનેર કે. ડી. નિનામા દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:09 pm

નવસારીમાં સગીરા પર દુષ્કર્મ, આરોપી ઝડપાયો:રાત્રે નોકરી પરથી પરત ફરતી સગીરાને વાડીમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

નવસારી શહેરમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 24 ડિસેમ્બરના રોજ રાત્રે નોકરી પરથી પરત ફરતી 17 વર્ષીય સગીરાને આરોપી કિરણ રાજુ બેડશે વિજલપોર વિસ્તારની વાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની આ સગીરા બુધવારે રાત્રે નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી. તે સમયે 18 વર્ષીય કિરણ રાજુ બેડશે તેને લલચાવીને વિજલપોર વિસ્તારમાં આવેલી એક વાડીમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઘરે પહોંચતા તેના આંતરિક અંગોમાંથી સતત રક્તસ્ત્રાવ થતો હતો. પરિવારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસે આરોપી કિરણ રાજુ બેડશે વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.આઈ. એન.આઈ. રાઠોડ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:06 pm

બોટાદ શહેરમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા:કલાકો સુધી વાહનોની કતારો, કાયમી નિવારણની માંગ

બોટાદ શહેરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. શહેરના હિરાબજારથી ટાવર રોડ સુધી અને અન્ય મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામ સામાન્ય બન્યો છે, જેના કારણે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અઢી લાખથી વધુ વસ્તી અને 11 વોર્ડ ધરાવતો બોટાદ નગરપાલિકા વિસ્તાર વાહનવ્યવહારના વધતા ભાર હેઠળ દબાઈ રહ્યો છે. પરિણામે, શહેરના મુખ્ય માર્ગો પર નિયમિતપણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. હિરાબજાર, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ટાવર રોડ અને જલમીન ટોકિઝ રોડ જેવા વિસ્તારોમાં સવાર, બપોર અને સાંજના વ્યસ્ત સમયે વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ટ્રાફિક નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં, આ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી. બોટાદ જિલ્લાકક્ષાનું કેન્દ્ર હોવાથી આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો કામકાજ અને વેપાર અર્થે શહેરમાં આવે છે, જેનાથી આંતરિક રસ્તાઓ પર ભાર વધે છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ વાહનો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકીય અને સામાજિક આગેવાનોની અનેક રજૂઆતો છતાં સ્થિતિ યથાવત છે. હવે શહેરવાસીઓ દ્વારા રસ્તાઓ પહોળા કરવા, ઓવરબ્રિજ, બાયપાસ રોડ અથવા રીંગ રોડ બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:05 pm

ધારીમાં AAPની કિસાન યાત્રા:ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા યાત્રામાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી

અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કિસાન યાત્રા અને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા ધારીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જોડાયા હતા. યાત્રામાં ગોપાલ ઈટાલિયા ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળ્યા હતા. યાત્રા બાદ પ્રેમપરા ખાતે કિસાન ન્યાય યાત્રા અંતર્ગત જંગી સભા યોજાઈ રહી છે. ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, બ્રિજરાજ સોલંકી, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજ સોલંકી અને કાંતિ સતાસીયા સહિત સ્થાનિક ગામડાના સરપંચો અને ઉપસરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ સામે આકરા આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લામાં રાજકીય રીતે સક્રિય બની છે. થોડા દિવસો પહેલા અમરેલી શહેરમાં પણ AAP દ્વારા મહાપંચાયત યોજી સભા કરવામાં આવી હતી, જે બાદ હવે ધારી વિધાનસભા બેઠક પર આ કાર્યક્રમ યોજાયો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:55 pm

આજથી શરુ કાંકરિયા કાર્નિવલ:નવા આકર્ષણો સાથે 31 ડિસેમ્બર સુધી ચાલશે કાર્નિવલ, વિધાનસભા ઉપાધ્યક્ષનું રાજીનામુ, પાંચ વર્ષના પુત્ર સાથે મહિલાની 14માં માળેથી છલાંગ

કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરુ... આ વખતે કાર્નિવલમાં પાયરો શો, પેટ ફેશન શો જેવા નવા આકર્ષણો જોવા મળશે. કાર્નિવલને પગલે કાંકરિયા લેકની આસપાસના કેટલાક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ વર્ષના પુત્ર સાથે મહિલાની મોતની છલાંગ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં એક મહિલાએ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 14માં માળેથી પડતું મુક્યું. પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મહિલાની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું રાજીનામુ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી પદ પરથી રાજીનામુ આપ્યું. અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ ,પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં રાજીનામુ આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'મને ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ' ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રુ.નો તોડ કરવાનો આક્ષેપ કર્યો.એટલું જ નહીં કલેક્ટરના વલણથી રોષે ભરાઈ મનસુખ વસાવાએ પોતાને ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની ચીમકી ઉચ્ચારી .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 13 હજાર 591 જગ્યાઓ માટે 14 લાખથી વધુ અરજી ગુજરાત પોલીસના PSI અને LRDની 13,591 જગ્યાઓ માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી..આ ઐતિહાસિક આંકડા સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અષ્ટમી પૂજા પર રોક મામલે સુપ્રીમમાં જશે દાંતાના રાજવી અંબાજીમાં 850 વર્ષથી ચાલતી નવરાત્રીની અષ્ટમી પૂજા પર રોક લગાવતા દાંતાના રાજવીએ હાઈકોર્ટના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે જો વીઆઈપી દર્શન યોગ્ય હોય તો આ પૂજા અયોગ્ય કઈ રીતે હોઈ શકે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ વાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજલાઈનના સમારકામ દરમિયાન વીજકર્મીનું મોત ગોંડલમાં વીજ લાઈનના સમારકામ દરમિયાન એક વીજકર્મીનું વીજ પોલ પર જ મોત થયું.અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા કર્મચારીનું મોત થયું. મૃતક મૂળ રાજસ્થાનનો હતો અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 31st પહેલા SOGએ અમદાવાદમાં તપાસ હાથ ધરી 31st પહેલા જ અમદાવાદના SG હાઈવે પર SOGએ તપાસ હાથ ધરી..ભર બપોરે નશેડીઓને પકડવા ડ્રગ્સ એનાલાઇઝર કીટથી લોકોના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી ઝડપાયો હાઈડ્રોપોનિક ગાંજો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજો પકડાયો.. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મહિલા પાસેથી 1 કરોડથી વધુનો 3 કિલો ગાંજો ઝડપાયો. મહિલાની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ધીમે ધીમે શરુ થયો ઠંડીનો ચમકારો ડબલ સિઝનના અનુભવ વચ્ચે નલિયામાં તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 10.3 ડિગ્રી નોંધાયું. તો ડીસાના તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:55 pm

ગિરનાર પર્વત પર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું:નાતાલ પર્વે ગિરનાર પર પ્રકૃતિ અને પરમેશ્વરનો સંગમ માણવા હજારો પ્રવાસીઓ પહોંચ્યા,માં અંબા તથા દત્ત ભગવાનના દર્શન કર્યા, વાતાવરણ અલૌકિક બન્યું

પર્વતોના રાજા અને હિમાલયના દાદા તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર નાતાલના વેકેશનને લઈ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઠંડીની ગુલાબી મોસમ અને રજાઓના સંગમે જૂનાગઢને જાણે પ્રવાસીઓનું કેન્દ્ર બનાવી દીધું છે. વહેલી સવારથી જ ગિરનારની તળેટીથી લઈને માં અંબાના શિખર સુધી ‘જય ગિરનારી’ ના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓ આ અલૌકિક અનુભૂતિનો હિસ્સો બનવા પહોંચ્યા છે. ​ગિરનાર પ્રવાસીઓની પહેલી પસંદ ​આજના આધુનિક યુગમાં જ્યાં લોકો કૃત્રિમ રિસોર્ટ પાછળ દોડી રહ્યા છે, ત્યાં ગિરનાર પર્વત તેની અદભૂત પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક શક્તિને કારણે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે. અહીં પ્રકૃતિ અને પરમેશ્વરનો એવો અદભૂત સમન્વય જોવા મળે છે કે જે પ્રવાસીઓના મન-મગજને શાંતિ અર્પે છે. વહેલી સવારે જ્યારે ધુમ્મસની ચાદર ઓઢીને પર્વત બિરાજમાન હોય છે, ત્યારે વાદળો જાણે પ્રવાસીઓ સાથે વાતો કરતા હોય તેવો ભાસ થાય છે. આ પ્રકૃતિના ખોળામાં વિતાવેલી ક્ષણો પ્રવાસીઓ માટે જીવનભરનું ભાથું બની રહે છે. ભક્તિ, સાહસ અને કુદરતની આ ત્રિવેણી સંગમ જ ગિરનારને વિશ્વભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. ​રોપ-વે સુવિધા બન્યું આશીર્વાદ, વૃદ્ધોએ પણ લીધો લહાવો ​એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની સુવિધા શરૂ થતા હવે યાત્રિકો માટે માં અંબાના દર્શન અત્યંત સરળ બન્યા છે. નાતાલની રજાને લઈ રોપ-વે પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રોપ-વે સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે પીવાના પાણી, જમવા અને ખાસ કરીને વૃદ્ધો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર ૧૦ મિનિટની રોપ-વે સફર દરમિયાન ગિરનારની ખાઈઓ અને જંગલના દ્રશ્યો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. ​અંબાજીથી દત્ત શિખર સુધી ભક્તિનો માહોલ ​માં અંબાના મંદિરે દર્શન કર્યા બાદ હજારો શ્રદ્ધાળુઓ ધીમે ધીમે પગથિયાં ચઢીને ગુરુ દત્તાત્રેયના શિખરે પહોંચ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં જરાય કમી જોવા મળી નહોતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે ચા-પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ​પ્રવાસીઓએ કહ્યુ ગિરનાર જેવું ક્યાંય નથી' ​પુનાથી આવેલા યોગેશ ગાયકવાડે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે અમે મિત્રોના ગ્રુપ સાથે અહીં આવ્યા છીએ. Lરોપ-વેથી માં અંબાના દર્શન કર્યા અને પછી દત્ત શિખર સુધીનો પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. અહીંના લોકોનો સ્વભાવ અને આતિથ્ય સત્કાર દિલ જીતી લે તેવો છે. ભારતના દરેક નાગરિકે જીવનમાં એકવાર ગિરનાર અચૂક આવવું જોઈએ.તેવી જ રીતે પાટણથી આવેલા ડો. કિરીટ પટેલે જણાવ્યું કે અમે રોપ-વે સુવિધાનો લાભ લીધો, જે ખૂબ જ સુંદર છે. અહીંના રમણીય દ્રશ્યો જોઈને લાગે છે કે આપણે કોઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. જે લોકો રજાઓમાં બહાર વિદેશ કે અન્ય સ્થળોએ જાય છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે એકવાર આપણા ગરવા ગિરનારની મુલાકાત જરૂર લો. ​પ્લાસ્ટિક મુક્ત ગિરનારની અપીલ ​ગિરનારની સુંદરતા જળવાઈ રહે તે માટે રોપ-વે સંચાલકો અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે. પર્વત પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ગંદકી ન ફેલાવવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરી ગિરનારની પવિત્રતા જાળવવા સહકાર આપ્યો હતો. ​ગિરનારની સાથે સાથે પ્રવાસીઓએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈ રજાઓની ભરપૂર મજા માણી હતી. ખરેખર, આ નાતાલ પર્વ જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ આશાસ્પદ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:51 pm

ગોધરા સહિત જિલ્લામાં હજારો ખ્રિસ્તીઓએ નાતાલ પર્વ ઉજવ્યું:પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિન નિમિત્તે વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ

ગોધરા શહેર અને જિલ્લાભરમાં હજારો ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ વિવિધ ચર્ચોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.ગોધરા શહેરમાં આવેલા ઈલોહિમ મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચ, મધર મેરી કેથોલિક ચર્ચ, ફૈથ ચર્ચ, હાલેલુયા ચર્ચ સહિત જિલ્લાના અનેક દેવળોમાં ખ્રિસ્તી બિરાદરોએ પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ સૌએ એકબીજાને 'મેરી ક્રિસમસ' કહી શુભેચ્છાઓ પાઠવી હતી. નાતાલ પર્વને કારણે શહેરમાં હજારો કિલો કેકનું વેચાણ થયું હતું, અને વેપારીઓ આગામી 31 ડિસેમ્બર સુધી કેકની માંગ રહેવાની આશા રાખી રહ્યા છે. નાતાલના દિવસે સવારે 8:00 થી 12:00 કલાક દરમિયાન દરેક ચર્ચમાં વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ સભાઓમાં ખ્રિસ્તી ભાઈ-બહેનોએ એકબીજાને પ્રભુ ઈસુના જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. લોકોને પ્રભુ ઈસુએ આપેલો પ્રેમ અને માફીનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. વિવિધ મંડળો દ્વારા દાન સ્વરૂપે ગરીબોને કપડાં, મીઠાઈ, અનાજ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ક્રિસમસ નિમિત્તે ઘણા સ્થળોએ ખ્રિસ્તી પરિવારો દ્વારા ઘરોમાં કે ચર્ચમાં કલાત્મક અને પ્રતિકાત્મક ગભાણ બનાવવામાં આવ્યા હતા. આ ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઝાંખી કરાવતા દ્રશ્યોનું નિર્માણ કરાયું હતું, જે ઈસુ ખ્રિસ્તનો જન્મ પશુઓને રાખવામાં આવતા ગભાણમાં થયો હતો તેની યાદ તાજી કરાવે છે. ખ્રિસ્તી પરિવારોએ ફટાકડા ફોડીને પણ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. ગોધરા ડિસ્ટ્રિક્ટના વિવિધ ચર્ચમાં નાતાલની વિશેષ સભાનું આયોજન એલોહિમ મેથોડિસ્ટ ચર્ચના પાળક અને ગોધરા ડિસ્ટ્રિક્ટના ડી.એસ. રેવ આશિષ રાઠોડની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. શહેર સહિત જિલ્લાભરમાં 1લી જાન્યુઆરી, 2026 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:48 pm

હિંમતનગર કલેક્ટર કચેરીમાં સુશાસન દિવસની ઉજવણી:પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. સુશાસન દિવસનો મુખ્ય હેતુ સરકારની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને વહીવટી તંત્રને જનતા પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે. ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કર્મચારીઓના કૌશલ્ય વર્ધન માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ તાલીમ અભિયાનની પ્રથમ બેચનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત જિલ્લા તિજોરી કચેરી તથા પેટા તિજોરી કચેરી મારફતે પગાર મેળવતા જિલ્લાના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે ‘ક્ષમતા નિર્માણ’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચ આગામી 29 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. કાર્યક્રમ દરમિયાન અટલજીના જીવન મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા. સુશાસનનો અર્થ માત્ર વહીવટ કરવો જ નહીં, પરંતુ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. વહીવટી પ્રક્રિયામાં વધુ આધુનિકતા અને સંવેદનશીલતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. અરજદારોના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અને લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:46 pm

મુળીના ભેટ ગામે ગેરકાયદેસર કોલસાના કૂવાની ચકાસણી:નાયબ કલેક્ટરે બુરાણ કરેલા કૂવા ફરી ચાલુ ન થાય તેની ખાતરી કરી

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના ભેટ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરાવ્યા બાદ, તે ફરીથી ચાલુ ન થાય તેની ખાતરી કરવા સ્થળ પર ચકાસણી કરી હતી. અગાઉ, નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કાર્ય શરૂ કરાયું હતું. આ કામગીરી ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં તમામ સક્રિય ગેરકાયદેસર કૂવાઓ ભરી દેવાયા હતા. ગત તારીખ 03/12/2025ના રોજ, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35માં આવેલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓ (ખાડાઓ) પર દરોડો પાડી જપ્ત કર્યા હતા. આ કૂવાઓનું બુરાણ કાર્ય 05/12/2025 ના રોજ વહેલી સવારથી બે લોડર મશીનની મદદથી શરૂ કરવામાં આવ્યું હતું. કુલ 25 ગેરકાયદેસર સક્રિય કોલસાના કૂવાઓનું બુરાણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દ્વારા ભેટ ગામમાં તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ બંધ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:38 pm

ઉનમાં SIR કામગીરી શરૂ થતા 50 ઘરોમાં તાળાબંધી મામલો:સાંસદે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી, કહ્યું, ગેરકાયદે રહેતા લોકો જ તપાસના સમયે આ રીતે ભાગી છૂટે

સુરત શહેરના ઉન વિસ્તારમાં SIRની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જે અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ રજૂ કરાયો હતો. જ્યારે વહીવટી તંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઉન વિસ્તારમાં પહોંચી, ત્યારે અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે. 500 મતદાતાઓ ગાયબ હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે. શું છે સમગ્ર મામલો?ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં 'સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝન' (SIR) ની કામગીરી ચાલી રહી છે. જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે. ઉન વિસ્તારમાં જેવી BLO ની ટીમો સક્રિય થઈ, કે તુરંત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા.દિવ્ય ભાસ્કરનો અહેવાલ અનુસાર, આ વિસ્તારોમાં વર્ષોથી શંકાસ્પદ રીતે વસવાટ કરતા લોકો તપાસના ડરથી હિજરત કરી ગયા છે. 'તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી?'સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઉન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય, તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી? 50 ઘરોમાં એકસાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે. આ લોકો હવામાં ઓગળી ગયા નથી, તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે. 'ગેરકાયદેસર રહેતા લોકો જ તપાસના સમયે આ રીતે ભાગી છૂટે'સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા છે કે ઉન વિસ્તારમાં મોટા પાયે બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ખોટા દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં સ્થાન મેળવી લીધું છે. સાંસદે પત્રમાં આડકતરી રીતે સંકેત આપ્યો છે કે ગેરકાયદેસર રહેતા લોકો જ તપાસના સમયે આ રીતે ભાગી છૂટે. તેમણે આ બાબતને સુરતની શાંતિ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે. સાંસદે તપાસની માંગ કરીમુકેશ દલાલે માંગ કરી છે કે, જે 50 ઘરોમાં તાળા જોવા મળ્યા છે, તેની ઝીણવટભરી તપાસ થાય.આ મકાન માલિકો કોણ છે અને ભાડૂતો તરીકે કોણ રહેતું હતું, તેની વિગતો મેળવવામાં આવે. ગેરકાયદેસર રીતે વસતા અસામાજિક તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉન વિસ્તારમાં જોવા મળેલી આ રહસ્યમય તાળાબંધીએ સુરત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને દોડતું કરી દીધું છે. મતદાર યાદીના બહાને શરૂ થયેલી આ તપાસ હવે ઘૂસણખોરોને પકડવા માટેનું મોટું સર્ચ ઓપરેશન બની શકે છે. સુરતના ‘મિની બાંગ્લાદેશ’માં સન્નાટો:500થી વધુ લોકો ગાયબ, SIRની કામગીરી શરૂ થતાં જ રાતોરાત ઘરને તાળાંચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIRની કામગીરી બાદ ગઈકાલે મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી. SIRની કામગીરી શરૂ થતાંની સાથે જ સુરતના ઉન વિસ્તારને અડીને આવેલા 'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લાના સામે આવેલાં દૃશ્યો સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી. અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:31 pm

મોરબીમાં ક્રિસમસને બદલે તુલસી દિવસ ઉજવાયો:સાર્થક વિદ્યા મંદિરે ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ડેને બદલે “તુલસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો દ્વારા તુલસીના મહત્વને સમજાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વર્તમાન શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને ઉજાગર કરતી કૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. શાળા છેલ્લા 10 વર્ષથી આ રીતે તુલસી દિવસની ઉજવણી કરી રહી છે. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનું ઔષધીય મહત્વ પણ ઘણું છે. શાળાનો ઉદ્દેશ્ય લોકોને તુલસી પ્રત્યે જાગૃત કરવાનો છે. વિદ્યાર્થીઓએ એક પ્રદર્શન તૈયાર કર્યું હતું, જેમાં માનવ જીવનમાં તુલસીનું મહત્વ અને તેના દૈનિક ઉપયોગથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ કાગળા વૃંદા અને રાઠોડ દ્રષ્ટિ તેમજ વાલીઓ પુરોહિત કાજલબેન અને કરડાણી જલ્પાએ જણાવ્યું હતું કે, ક્રિસમસ ટ્રીની જેમ ભવિષ્યમાં લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીને શણગારીને તેનું જતન કરે તેવો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને તુલસીના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:30 pm

સુરતમાં 'પેકર્સ એન્ડ મૂવર્સ'ની આડમાં 200 કરોડનો હવાલા કારોબાર:માસ્ટરમાઇન્ડ પ્રતીક ને દુબઈ 'બિગ બ્રો'ની ખતરનાક માયાજાળ, કરોડોની કેશ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દુબઈ મોકલાતી

સુરતના ડીંડોલીમાં 'ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ'ના નામે ચાલતી દુકાન વાસ્તવમાં સામાનની હેરફેર નહીં, પણ કાળા નાણાંની હેરફેરનું હબ બની ગઈ હતી. ગ્રીનવેલી બિલ્ડિંગના પહેલા માળે આશરે બે વર્ષથી ધમધમતા આ 200 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ કરતા જ SOG પણ ચોંકી ઉઠી છે. મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવાએ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બિઝનેસનું એવું મહોરું પહેર્યું હતું, જેની પાછળ તે દેશના નાણાકીય તંત્રને નુકસાન પહોંચાડી રહ્યો હતો. દુબઈમાં બેઠેલો 'બિગ બ્રો' નામનો રહસ્યમય શખ્સ સુરતના આ નેટવર્કનો અસલી કંટ્રોલર હતો. તે મુખ્ય આરોપી પ્રતીક વસાવાને એપીકે (APK) ફાઈલ મોકલીને સુરતના ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સનો સીધો એક્સેસ મેળવી લેતો હતો. ટેકનોલોજીનો આવો દુરૂપયોગ કરીને તે ગેમિંગ અને શેરબજારના નામે છેતરાયેલા લોકોના કરોડો રૂપિયા સીધા પ્રતીક વસાવા દ્વારા મેનેજ કરવામાં આવતા ખાતાઓમાં જમા કરાવતો હતો. નબળા લોકોના બેંક એકાઉન્ટ્સ માત્ર 20 થી 25 હજારમાં ભાડે લેતો પ્રતીકપ્રતીક વસાવાની કાર્યપદ્ધતિ એકદમ અલગ હતી. તે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા લોકોના બેંક એકાઉન્ટ્સ માત્ર 20 થી 25 હજારમાં ભાડે લેતો હતો. આ 'મ્યુલ એકાઉન્ટ્સ'માં જ્યારે કરોડો રૂપિયા જમા થતા, ત્યારે તે રકમ પહેલાં સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી અને પ્રતીક પોતે આ તમામ રકમ રોકડમાં ઉપાડી લેતો હતો. આ પ્રક્રિયા એટલી ઝડપી હતી કે સાયબર ક્રાઈમ ટીમ એલર્ટ થાય તે પહેલા જ નાણાં સિસ્ટમની બહાર નીકળી જતા. સલીમ આ કરોડોની રોકડના બદલામાં ક્રિપ્ટો કરન્સી ખરીદી આપતોતપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આ રોકડને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે મોકલવામાં આવતી હતી. પ્રતીક વસાવા લિંબાયતના સલીમ ઉર્ફે સમીરનો સંપર્ક કરતો હતો. સલીમ આ કરોડોની રોકડના બદલામાં યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી ખરીદી આપતો. આ ડિજિટલ કરન્સી પ્રતીક દ્વારા સીધી દુબઈમાં બેઠેલા 'બિગ બ્રો'ના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ રીતે ભારતીય ચલણ હવાલા દ્વારા ક્રિપ્ટોમાં રૂપાંતરિત થઈ દુબઈ પહોંચતું હતું. આ રેકેટનો રિયલ માસ્ટરમાઇન્ડ પ્રતીક વસાવા કોઈ સામાન્ય આરોપી નથી, પણ રીઢો ગુનેગાર છે. સાયબર ફ્રોડના કેસમાં 90 દિવસ જેલમાં વીતાવ્યા હોવા છતાં, જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી ગુનાખોરીનો માર્ગ પકડ્યો હતો. તેની સામે નોંધાયેલા 6 ગુનાઓ તેની ગુનાહિત માનસિકતાની સાક્ષી પૂરે છે. જેલમાં જઈને સુધરવાને બદલે તેણે હવાલાના કાળા કારોબારને વધુ મોટો અને ડિજિટલ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. પ્રતીક પોતાના જ મિત્રની પત્નીને બ્લેકમેલ કરવાનો આરોપીપ્રતીક વસાવાની નૈતિકતા કેટલી હદે નીચી હતી તેનો પુરાવો એ છે કે તેની સામે નોંધાયેલા ગુનાઓમાં પોતાના જ મિત્રની પત્નીને બ્લેકમેલ કરવાનો ગંભીર ગુનો પણ સામેલ છે. જે વ્યક્તિ પોતાના મિત્રના પરિવારને નથી છોડી શકતી, તેણે સેંકડો સામાન્ય લોકોના ભાડે લીધેલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશને કરોડોનો ચૂનો લગાવ્યો છે. સુરતના અનેક વ્યાપારીઓના નામ પણ ખૂલી શકેહાલમાં SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની ટીમ પ્રતીક વસાવાના તમામ 'મોટા માથાઓ' અને સંપર્કોની વિગતો ફંફોસી રહી છે. પોલીસને શંકા છે કે સુરતના કેટલાક વગદાર લોકો પ્રતીકને આર્થિક વ્યવહારોમાં અને પોલીસથી બચવા માટે સંરક્ષણ પૂરું પાડતા હતા. આગામી દિવસોમાં આ હવાલા રેકેટમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના છે, જેમાં સુરતના અનેક વ્યાપારીઓના નામ પણ ખૂલી શકે છે. ગેંગ દુબઈ અને ચીન સુધી ફેલાયેલા તાર સાથે છેતરપિંડી આચરતીછેલ્લા બે વર્ષથી સક્રિય આ ગેંગ પેકર્સ એન્ડ મૂવર્સના વ્યવસાયના ઓથા હેઠળ દુબઈ અને ચીન સુધી ફેલાયેલા તાર સાથે છેતરપિંડી આચરતી હતી. પોલીસે સ્થળ પરથી પ્રતીક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલની ધરપકડ કરી છે, જેઓ દુબઈમાં બેઠેલા ‘બિગ બ્રો’ નામના મુખ્ય સૂત્રધારના ઈશારે ભારતમાં નેટવર્ક ઓપરેટ કરતા હતા. 14 બેંક એકાઉન્ટ્સ દેશભરના 71 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલાઆ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત સુવ્યવસ્થિત હતી. તેઓ આર્થિક રીતે નબળા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, નજીવી રકમના બદલામાં તેમની ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમકાર્ડ મેળવી લેતા હતા. તપાસમાં ખુલ્યું છે કે આ જપ્ત કરાયેલા 14 બેંક એકાઉન્ટ્સ દેશભરના 71 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલા છે. આ ટોળકી ટેલિગ્રામ દ્વારા ચાઈનીઝ ગેંગના સંપર્કમાં રહીને સૂચનાઓ મેળવતી હતી અને સાયબર ફ્રોડના નાણાંને પકડાઈ જવાની બીકે 'યુએસડીટી' (USDT) જેવી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી હવાલા મારફતે વિદેશ મોકલી આપતી હતી. હોન્ડા સિટી કાર અને 7 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યોઆ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી 10.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 7 મોબાઈલ, 2 કોમ્પ્યુટર, 7 ડેબિટ કાર્ડ અને એક હોન્ડા સિટી કારનો સમાવેશ થાય છે. આરોપીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી નકલી ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો અને યુઝર આઈડી બનાવી પોલીસને હંફાવતા હતા. જેલમાંથી છૂટીને ફરી આ ધંધામાં લાગી ગયેલો રીઢો ગુનેગાર પ્રતીક વસાવા આ સમગ્ર લોકલ ઓપરેશનનું હેન્ડલિંગ કરતો હતો, જે અગાઉ પણ સાયબર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. હાલ સુરત પોલીસે આ કેસમાં દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં ગણેશ ઉર્ફે પ્રેમ, રાજ શ્રીવાસ્તવ અને સલીમ આર.ટી.ઓ. જેવા નામો મુખ્ય છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ કૌભાંડમાં સ્થાનિક સ્તરે બીજા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને તેમને કોણ રક્ષણ પૂરું પાડી રહ્યું હતું. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:10 pm

સુભાષબ્રિજને તોડીને નવો બનાવવા AMC અધિકારીઓનો મત:રીપેરીંગ થઈ શકે જોકે લાંબુ આયુષ્ય નહીં, સોમવાર સુધીમાં અંતિમ નિર્ણય થઈ શકે છે

રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજ પર તિરાડ પડવા અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ બ્રિજ નિષ્ણાંત એજન્સીઓ પાસે કરાવેલા ટેસ્ટના રિપોર્ટ થઈ ચૂક્યા છે. રિપોર્ટમાં ત્રણ અલગ અલગ વિકલ્પના આધારે સંપૂર્ણપણે બ્રિજ તોડી પાડવો જોઈએ તેનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને તેના ઉપર નિર્ણય લેવાયો હતો. જોકે હવે આ મામલે રાજ્ય સરકાર પર નિર્ણય છોડવામાં આવ્યો છે. બ્રિજના તમામ પિલ્લર મજબૂત છે જેથી બ્રિજના સંપૂર્ણ સુપર સ્ટ્રક્ચરને તોડી નવા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી છે. જોકે મુખ્યમંત્રી તમામ વિકલ્પ બાબતે ચર્ચા કરીને બ્રિજને રીપેરીંગ કરવો કે નવો બનાવવો તે અંગેનો નિર્ણય કરી શકે છે. સુભાષબ્રિજ બંધ ક્યાં સુધી રહેશે?આજે 25 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજને બંધ રાખવાનો નિર્ણચ લેવાયો હતો. જોકે સુભાષબ્રિજના ટેસ્ટ રિપોર્ટ બાદ રાજ્ય સરકાર નિર્ણય લેવામાં આવનાર છે જેથી સુભાષબ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દ્વારા આગામી 2 કે 3 દિવસમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે બે ત્રણ દિવસ બાદ સુભાષબ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તેની સ્પષ્ટતા થઈ શકે છે. 24 ડિસેમ્બરે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બ્રિજ ઇન્સ્પેક્શન નિષ્ણાંત એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગઈકાલે 24 ડિસેમ્બરના રોજ સુભાષ બ્રિજના રિપોર્ટ સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા બ્રિજને સંપૂર્ણ તોડીને નવો કરવો અથવા રીપેરીંગ કરવો તેના માટે થઈને ચર્ચા કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓનો બ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાનો મતસૂત્રો મુજબ ઇજનેર વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાનો મત આપી રહ્યા છે કારણકે આગામી દિવસોમાં રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે અને સુભાષબ્રિજ શહેરના પ્રવેશ દ્વાર ગણાય છે ત્યારે બ્રિજ મામલે કોઈપણ પ્રકારનું જોખમ અધિકારીઓ લેવા માંગતા નથી. જો નવો બ્રિજ બને તો આગામી 75 વર્ષ સુધી ટકી શકે છે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા પણ બ્રિજને રીપેર કરવો કે તેને સંપૂર્ણપણે તોડી પાડવો તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. સંપૂર્ણ બાબત હવે રાજ્ય સરકાર ઉપર છોડી દેવામાં આવી છે. જો બ્રિજને રીપેરીંગ પણ કરવામાં આવે તો આ બ્રિજ પર માત્ર ટુ-વ્હીલર અને ફોરવ્હીલર વાહનો ચલાવી શકાય. રાજ્ય સરકાર આગામી સોમવાર સુધીમાં જાહેરાત કરી શકે છેભારે વાહનોની એન્ટ્રી બંધ કરવી પડે જો નવો બ્રિજ બનાવવામાં આવે તો બ્રિજ આગામી 75 વર્ષ સુધી ટકી શકે છે. પરંતુ જો રીપેરીંગ થાય તો બ્રિજનું આયુષ્ય વધારે લાંબુ થઈ શકે નહીં, જેથી અધિકારીઓ બ્રિજને તોડી નવો અને પહોળો બનાવવાના મતમાં છે. જોકે હવે બ્રિજ મામલે રાજ્ય સરકાર તરફથી આગામી સોમવાર સુધીમાં જાહેરાત થઈ શકે છે. IITના રિપોર્ટમાં બ્રિજ નવો બનાવવાની વિચારણા કરાઈ4 ડિસેમ્બરના રોજ સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયા બાદ બ્રિજને તાત્કાલિક ધોરણે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તાધીશોએ બ્રિજ ઇન્સ્પેક્શનની એમ પેનલ એજન્સીઓ અને IIT રૂડકી અને IIT મુંબઈ જેવી નિષ્ણાંત સંસ્થાઓ પાસે રિપોર્ટ કરાવ્યા છે. જેમાં અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં એક વિકલ્પ તરીકે બ્રિજના સંપૂર્ણ સુપર સ્ટ્રક્ચરને તોડીને બ્રિજને નવો બનાવવો, જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તેને દૂર કરવો અને બ્રિજ અને મજબૂત કરવો જોકે સૌથી વ્યસ્ત અને પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા આ બ્રિજ પર ભવિષ્યને ધ્યાનમાં રાખી નવો બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:09 pm

કારીગર જ નીકળ્યો ચોર:દોઢ મહિનાથી નોકરીમાં લાગેલા કારીગરે જ કારખાનામાંથી 10 મિનિટમાં રૂ.17.60 લાખની ચાંદી ચોરી વાડીમાં ડાટી દીધી હતી

રાજકોટ શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી આપવાનું કામ કરતા મુળ મહારાષ્ટ્રના દંપતિને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ રાખેલા વેલનાથપરાના કારીગરે 10 મિનીટમાં જ રૂ. 17.60 લાખની 16 કિલો ચાંદીની ચોરી કરનાર શખ્સને ઝોન-1 એલસીબીની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી પાસેથી કુલ 15.97 લાખનો મુદામાલ કબ્જે કરાયો રાજકોટના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાહુલ ધોંડીરામ સાવંત (ઉ.વ.32) 12 વર્ષથી રાજકોટમાં ચાંદીકામનો વ્યવસાય કરે છે. રાહુલ અલગ-અલગ ચાંદીની પેઢીઓ પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી આપે છે. લાતી પ્લોટ શેરી નં.11માં આવેલા દિલીપ હરિભાઈ કાછડીયાના આઈ શ્રી ખોડિયાર સિલ્વર નામની પેઢીમાંથી ત્રણ દિવસ પહેલાં 16,802 ગ્રામ કાચુ ચાંદી નાના બાળકોના કડા અને કાસ્ટીંગ લોક બનાવવા માટે લાવ્યો હતો. જે ચાંદી તેને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ લાગેલો વેલનાથપરાનો વિજય નટુભાઈ નાગાણી ચોરી ગયો હતો. આ મામલે ઝોન-1 એલસીબીના પીએસઆઈ એમ.કે. મોવલીયા અને તેમની ટીમે ભેદ ઉકેલી વિજય નટુ નાગાણીને ઝડપી લઈ રૂ.15.47 લાખનું 15 કિલો ચાંદી અને જીજે.03.એનએમ.1442 નંબરનું બાઈક સહીત રૂ.15.97 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પુછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે, બનાવના દિવસે રાહુલ સાવંત દિલીપ કાછડીયા ચાંદીના દાગીના આપવા ગયો અને તે દરમિયાન પુત્ર રડતો હોવાથી તેની પત્ની પુત્રને તેડીને બહાર નીકળી હતી. આ સમયે માત્ર 10 મિનીટમાં જ વિજયે ચોરી ને અંજામ આપ્યો હતો અને ત્રીજા માળે આવેલ કારખાનાના રૂમમાંથી ચાંદીનું પોટલું બાજુમાં આવેલ પ્લોટમાં ફેકી દીધું અને ફટાફટ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. 17.60 લાખની કિંમતના 16,107 ગ્રામની ચાંદીની ચોરી બાઈક ઉપર વિજય ચોટીલા ગયો અને તેની વાડીએ ચાંદી જમીનમાં દાટી દીધું હતું અને ગ્રાહકની શોધમાં હતો ત્યારે આજે પાંચ કિલો ચાંદી ઓગાળી રાજકોટ વેચવા આવ્યો ત્યારે એલસીબી ઝોન-1ના હાથે પકડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલ વિજય આગાઉ પણ 1 કિલો સોનાની ચોરીમાં માલવિયાનગર પોલીસના હાથે પકડાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:04 pm

વન મંત્રી સક્કરબાગ ઝૂ ની મુલાકાતે:વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ દેશના બીજા સૌથી જૂના 'સક્કરબાગ ઝૂ'ની મુલાકાત લીધી; પ્રાણીઓના સ્વાસ્થ્ય અને પ્રવાસી સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે કરી ખાસ ચર્ચા

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે જૂનાગઢ સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એશિયાટિક સિંહ સહિતના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ, તેમના સ્વાસ્થ્યની કાળજી તેમજ પ્રવાસીઓ માટેની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ​મુલાકાત બાદ વન મંત્રીએ જણાવ્યું હતું કે સક્કરબાગ વન્યપ્રાણી સંગ્રહાલય માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું ગૌરવ છે. આ પ્રાણી સંગ્રહાલયના સર્વાંગી વિકાસ અને તેમાં જરૂરી અત્યાધુનિક સુધારા-વધારા કરવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરવામાં આવી છે. સરકાર આ વારસાને વધુ સમૃદ્ધ બનાવવા માટે કટિબદ્ધ છે.. ​વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ મેળવે છે જ્ઞાન ​સક્કરબાગના મહત્વ વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે, આ સમૃદ્ધ વન્યપ્રાણી સંગ્રહાલયની વર્ષે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને પર્યટકો મુલાકાત લે છે. વાઇલ્ડ લાઇફ અને જીવ સૃષ્ટિની જાણકારી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એક જીવંત પાઠશાળા સમાન છે. વન્ય સૃષ્ટિ આપણને સહ-અસ્તિત્વની એટલે કે એકબીજાના પૂરક બનીને રહેવાની શીખ આપે છે. ​મંત્રીએ સમગ્ર પ્રાણી સંગ્રહાલયની સાથે સાથે જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી. તેમણે પ્રાણીઓ-પક્ષીઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા અને સુરક્ષાની સ્થિતિ તપાસી હતી. વન વિભાગના અધિકારીઓ પાસેથી વિવિધ વન્યપ્રાણીઓની વિશેષતાઓ જાણી હતી અને તેમના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. ​આ મુલાકાત દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી અને એસીએફ નીરવ મકવાણા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. અધિકારીઓએ મંત્રીને સક્કરબાગના આગામી આયોજનો વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:58 pm

ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ યોજાઈ:વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ગુજરાત ઓફિસનું ઉદઘાટન, આખા રાજ્યના વેપાર અને સંચાલનનું કેન્દ્ર બનશે

ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ (ICTC) દ્વારા આજે વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કોમનવેલ્થ દેશો વચ્ચે વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકારને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ બેઠકનો મુખ્ય આકર્ષણ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ - ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન હતું. આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વેપાર સંવાદમાં પ્રદેશ સ્તરે ભાગીદારી વધારવો અને કોમનવેલ્થ દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત ICTC – ગુજરાતના માનદ અધ્યક્ષ વિરલ ચૌધરીના સ્વાગત ભાષણથી કરવામાં આવી હતી. તેમણે કાઉન્સિલના દ્રષ્ટિકોણ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાઉન્સિલ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા, સીમા પારના વ્યાવસાયિક સહયોગને સક્રિય કરવા તથા કોમનવેલ્થ બજારોમાં એમએસએમઇ (MSME) ક્ષેત્રના વિકાસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વૈશ્વિક વેપાર અને ઉદ્યોગસાહસિકતા માટે ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઇ કમિશનર મૂખેશ્વર ચૂની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના મુખ્ય ભાષણમાં ભારત અને મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક, કૂટનીતિક અને આર્થિક સંબંધોની વિશેષ ચર્ચા કરી. સાથે જ વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકાર ક્ષેત્રે ઊભરતી નવી તકો પર પ્રકાશ પાડી, કોમનવેલ્થ માળખામાં મોરિશિયસ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર હોવાની પુષ્ટિ કરી હતી. ભારત અને મોરિશિયસ વચ્ચે એમએસએમઇ સહકાર પર યોજાયેલા વિશેષ સત્રમાં મોરિશિયસ બિઝનેસ એન્ટ્રપ્રેન્યોર્સ એસોસિએશનના સચિવ શ્રી સંજીવ મુલ્લૂએ સંબોધન કર્યું. તેમણે ઉદ્યોગસાહસિકતા આધારિત વિકાસ, ક્ષેત્રવાર સહયોગ તથા બંને દેશોના ઉદ્યોગો વચ્ચે ટકાઉ વ્યાવસાયિક ભાગીદારીની શક્યતાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે IETOના પ્રમુખ ડૉ. આસિફ ઇકબાલે સમાપન ભાષણ આપ્યું હતું. તેમણે કોમનવેલ્થ નેટવર્કમાં સતત સંવાદ, સંસ્થાગત સહકાર અને સર્વસમાવેશક આર્થિક વિકાસની મહત્વતા પર ભાર મૂક્યો હતો.ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025માં ગુજરાતભરના વ્યાવસાયિક સમુદાયના સભ્યો ઉપરાંત ભારત, મોરિશિયસ અને અન્ય આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક સમુદાયોના પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક ઉદ્યોગ નેતાઓ, ઉદ્યોગસાહસિકો અને સંસ્થાગત પ્રતિનિધિઓ માટે અર્થપૂર્ણ સંવાદ અને કોમનવેલ્થ ઇકોસિસ્ટમ હેઠળ દીર્ઘકાલીન આર્થિક સહકારની તકો શોધવા માટે એક સશક્ત મંચરૂપ સાબિત થશે. મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઇ કમિશનર મૂખેશ્વર ચૂનીએ જણાવ્યું હતું કે, આજે જે MOU સાઈન થયા છે તે વડોદરા માટે ખૂબ જ મોટી ઘટના છે. કારણ કે, 2030માં 'કોમનવેલ્થ ગેમ્સ' અમદાવામાં યોજાવાની છે. તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવી પડશે, જો અત્યારે શરૂ નહીં કરીએ તો મોડું થઈ જશે. આ MOU દ્વારા અમે સમગ્ર વિશ્વને એ સંદેશ આપવા માંગીએ છીએ કે ભારત અને ખાસ કરીને વડોદરા તમામ રમતવીરોનું સ્વાગત કરવા તૈયાર છે. આ સાથે જ વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે પણ આ એક મોટી તક છે. 56 દેશોના પ્રતિનિધિઓ અહીં એકઠા થશે અને ભારત નેતૃત્વ લેશે. આનાથી માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ વેપાર અને રોકાણના ક્ષેત્રમાં પણ આદાન-પ્રદાન વધશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ભારતના વડાપ્રધાનના માધ્યમથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા અને સન્માન ખૂબ જ વધ્યા છે. આખું વિશ્વ ભારતને આદરની નજરે જુએ છે કારણ કે મોદી સાચા રસ્તે અને સાચી દિશામાં કામ કરી રહ્યા છે.જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે, જેથી ભારતની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે. ભારત માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરશે. ભારત ચોક્કસપણે આગળ વધશે. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલના ચેરમેન વિરાજ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ગુજરાત ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જે હવે આખા રાજ્યના વેપાર અને સંચાલનનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કાઉન્સિલના ગુજરાત ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થમાં સમાવિષ્ટ 56 દેશો સાથે ભારતના વેપાર સંબંધો મજબૂત કરવા માટે આ એક મહત્વનું પગલું છે. ખાસ કરીને 2030માં જ્યારે અમદાવાદ અને ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ ઓફિસ તે દેશો સાથે બિઝનેસ અને ટ્રેડ નેટવર્કિંગ વધારવામાં પાયાની ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ આયોજન માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે 56 દેશો સાથે દ્વિપક્ષીય વેપાર, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ભારતની જ્ઞાન પરંપરાને વિશ્વ સ્તરે સ્થાપિત કરવાની એક મોટી તક છે. આનાથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો આવશે અને સ્થાનિક વ્યવસાયો માટે નવી તકો ઉભી થશે. આગામી પાંચ વર્ષોમાં વિવિધ દેશોના ડેલિગેટ્સ અને મંત્રીઓની મુલાકાતો વધશે, જેનો સીધો લાભ ગુજરાતના અર્થતંત્રને મળશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:57 pm

નવા વર્ષની ઉજવણી પૂર્વે કરોડોના દારૂની હેરાફેરીનો પર્દાફાશ:મધ્યપ્રદેશથી ચોખાના થેલાઓમાં છુપાવી દોઢ કરોડનો દારૂ ગોધરા પહોંચે તે પહેલા કતવારા હાઇવે પરથી દાહોદ LCBએ ઝડપ્યો

દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કતવારા ગામે ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પરથી રૂ. 1.81 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે વાહન ચેકિંગ દરમિયાન બંધ બોડી ટ્રેલરને અટકાવ્યું હતું. આ ટ્રેલરમાં ચોખાના થેલાઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રેલરની તલાશી લેતા તેમાંથી કુલ 1,039 પેટીઓમાં ભરેલી 25,056 બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત રૂ. 1,60,40,400 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રેલર, બે મોબાઈલ ફોન અને 170 ચોખાના થેલા સહિત કુલ રૂ. 1,81,35,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રેલર ચાલક તાજારામ જાટ (ઉંમર 32, રહેવાસી બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ગેરકાયદેસર રીતે ગોધરા તરફ પહોંચાડવાનો હતો. સમગ્ર મામલે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ પકડાવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાઇવે મારફતે થતી ગેરકાયદેસર હેરાફેરીને અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને તહેવારો અને વર્ષાંત દરમિયાન દારૂના ગેરકાયદેસર પરિવહન પર પોલીસ તંત્રની વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:51 pm

સૌરાષ્ટ્ર યુનિ.માં 60મો પદવીદાન સમારોહ યોજાયો:14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમ વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. આજે 14 વિદ્યાશાખાના 43,792 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી અને રાજ્યપાલના હસ્તે 160 તેજસ્વી વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ અને 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ એનાયત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 129 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 49 જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 60મોં પદવીદાન સમારોહ યોજાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ આજ રોજ સવારે રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અવ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43792 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 178 ગોલ્ડમેડલ તથા 271 પ્રાઈઝ એનાયત કરવામાં આવી હતી. જેમાં દાતાઓ તરફથી કુલ 72 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 106 ગોલ્ડમેડલ મળીને કુલ 178 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 113 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 158 પ્રાઈઝ મળીને 271 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની મેડિકલ ફેકલ્ટીની MBBSની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી 7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ. માં 3 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ, રાજકોટની કે.એ. પાંધી લો કોલેજની વિદ્યાર્થિની ગૌસ્વામી ખ્યાતી મહેશપરીને એલ.એલ.બી. માં 3 ગોલ્ડમેડલ તથા 7 પ્રાઈઝ અને રાજકોટની જ સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં 3 ગોલ્ડમેડલ તથા 1 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રી ડો. પ્રદ્યુમન વાંજાએ વિદ્યાર્થીઓને પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજકોટનો મારા જીવનમાં ખુબ મોટો સિંહ ફાળો છે. હું રાજકોટની જ શાળાનો વિદ્યાર્થી છું એટલે મને અહીંયા બોલાવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ભૂલતા નહિ આપણી સફળતા પાછળ અન્ય લોકોનો ફાળો છે આપણી પાછળ મહેનત કરનાર ને યાદ રાખજો. વિદ્યાર્થીઓ પદવી મેળવે પછી આગળ નવી જવાબદારી મળે છે. અત્યાર સુધી સ્વતંત્ર હતા હવે દેશના નાગરિક તરીકેની ફરજ શરૂ થાય છે. આ શિક્ષણ કાર્યને વધુ ઉજ્વવળ બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા નવી શિક્ષણ નીતિ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નચિકેતાઓ મારી સામે છે ત્યારે વિકસિત ભારત 2047ના સંકલ્પમાં આ બધા નચિકેતાઓનો ફાળો હશે તેવી હું આશા વ્યક્ત કરું છું. પડકારોથી દૂર નથી જવાનું પડકારનો સામનો કરવાનો છે. આત્મનિર્ભર ભારતના અભિયાનમાં બધા લોકો પોત પોતાના ક્ષેત્રમાં આગળ વધે તેવી મારી સૌને શુભેચ્છા છે. 2047માં ભારત વિકસિત દેશ બને ત્યારે તમે પણ ફૂલ નહીતો ફૂલની પાંખડી જેટલો ફાળો આપશો તો તમને પણ ખુદ ઉપર ગર્વ જરૂર થશે. આચાર્ય દેવવ્રતએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને આજે પદવી મેળવવા બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી ગુરુ, આચાર્ય, અને વિદ્યાનો અર્થ સમજાવવામાં આવ્યો હતો. વિદ્યા જીવનના દરેક ક્ષણમાં ઉપયોગી બનવી જોઈએ. આજ સુધી આપણા દેશમાં આપણે ડિગ્રી આપી રહ્યા છીએ પરંતુ સમાજમાં એ કેટલી ઉપયોગીતા બની છે એ આપણે વિચારતા નથી. આપણા દેશમાં ડિગ્રી આવશ્યકતા બની ગઈ છે માટે એના માટે ચિંતન કરવું જરૂરી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તો ઇન્ડસ્ટ્રીનું હબ છે જયારે જયારે સમય મળે ત્યારે ઉદ્યોગપતિઓને યુનિવર્સીટીમાં બોલાવી તેમને કેવા યુવાનોની જરૂર છે તે અંગે તાગ મેળવો અને એ મુજબ શિક્ષા અને વિદ્યા મળે તેવા પ્રયાસ કરવાથી આગળ આર્થિક રીતે ચોક્કસ મદદરૂપ થશે. નવી શિક્ષણ નીતિમાં પરિવર્તન આવ્યો છે સ્કિલ સાથે વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. સમાજને આવશ્યકતા હોય તે મુજબ જ્ઞાન ગુરુકુળમાં આપવામાં આવતું હોય છે. આપણા વૈદોમાં પણ ગણિત છે આપણી વિદ્યા સર્વ શ્રેષ્ઠ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જીવનનું ઉદેશ્ય શું છે.? એ સમજવું ખુબ જ જરૂરી છે. મનુષ્યની વિશેષતા શું છે એ સમજવું જરૂરી છે. દુનિયાના બીજા પ્રાણીઓથી અલગ મનુષ્ય પ્રાણી છે. મનુષ્ય પાછલના જન્મનું ભોગવવા અને આગલા જન્મનું કર્મ બાંધવા માટે ભગવાને મનુષ્યને જન્મ આપ્યો છે. ધર્મ અર્થ અને કામ કરી મોક્ષ માટે મનુષ્યનો જન્મ થાય છે અને તેના માટે વિદ્યા જરૂરી છે. વિદ્યા થકી જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:40 pm

CMના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચિંગ:2030 સુધીમાં 100 GWથી વધુ ક્ષમતાનો લક્ષ્યાંક, સુશાસન દિવસ પર ગુજરાતનું ગ્રીન વિઝન

સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત સરકાર તરફથી રાજ્યની ઊર્જા નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 લોન્ચ કરાઈ છે. આ નવી નીતિ હેઠળ ગુજરાતે 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહનનવી પોલિસી મુજબ રાજ્યમાં સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે, સાથે જ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રીડ સ્થિરતા જળવાઈ રહે અને વીજ પુરવઠો સતત મળી રહે તે માટે સંગ્રહ ક્ષમતાવાળા પ્રોજેક્ટ્સને સીધો ટેકો આપવામાં આવશે. આ વ્યવસ્થા માટે જરૂરી સ્થળો GEDA દ્વારા GETCO અને ડિસ્કોમ્સ સાથે સંકલન કરીને નક્કી કરવામાં આવશે. થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમયમર્યાદામાં છૂટછાટરિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં લાંબી પ્રક્રિયા અને વિલંબ અંગે ઉદ્યોગ જગતમાં રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, નવી નીતિમાં કૅપ્ટિવ અને થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન અને ઇવેક્યુએશન લાઈન સંબંધિત નિયમોમાં કરાયેલા ફેરફારોથી પ્રોજેક્ટ્સ ઝડપથી અમલમાં મૂકવામાં મદદ મળશે. ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત અને કનેક્ટિવિટી માટે પ્રાથમિકતા મળશેવિન્ડ એનર્જી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. હાલના પવનચક્કીઓને હટાવ્યા વિના રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ કરવાની મંજૂરી આપીને સમયમર્યાદા 24 મહિના સુધી વધારવામાં આવી છે. આ ઉપરાંત, રીપાવરિંગ દરમિયાન ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત અને કનેક્ટિવિટી માટે પ્રાથમિકતા મળશે, જેથી જૂના પ્રોજેક્ટ્સ વધુ કાર્યક્ષમ બની શકે. ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ, રોજગારી અને ટેકનોલોજીકલ નવીનતાને વેગ મળશેનવી પોલિસી હેઠળ ઓશન એનર્જી, જિયોથર્મલ એનર્જી, એગ્રીવોલ્ટેઇક્સ, બિલ્ડિંગ અને રોડ-ઇન્ટિગ્રેટેડ સોલાર જેવી નવી અને આધુનિક ટેકનોલોજીઓને પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા આગળ ધપાવવામાં આવશે. સરકારના આ પગલાથી રાજ્યમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ, રોજગારી અને ટેકનોલોજીકલ નવીનતાને વેગ મળશે. સરકારનું માનવું છે કે રિન્યુએબલ એનર્જી પોલિસી–2025થી ગુજરાત માત્ર ઊર્જા ઉત્પાદનમાં નહીં પરંતુ ક્લીન એનર્જી હબ તરીકે પણ દેશભરમાં આગવી ઓળખ બનાવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:37 pm

'સાંસદ ખેલ મહોત્સવ' ફિનાલે::​સાંસદ ખેલ મહોત્સવમાં મંત્રી માંડવીયાએ ગદા સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો; 1800 ખેલાડીઓ વચ્ચે જામશે જંગ, PM મોદીએ આપ્યું વર્ચ્યુઅલ સંબોધન

​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ખેલો ઈન્ડિયા' અને ભારતને રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના સંકલ્પને વેગ આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે 'પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-2025' ના ફિનાલેનો ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય શ્રમ-રોજગાર અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ શક્તિના પ્રતીક સમાન 'ગદા' લહેરાવીને આ રમત કુંભને ખુલ્લો મુક્યો હતો. આ તકે ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને અનેક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ​40 હજાર નોંધણી અને 82 વર્ષના વૃદ્ધનો ઉત્સાહ​આ ખેલ મહોત્સવની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પોરબંદર લોકસભા હેઠળ આવતી સાતેય વિધાનસભા (કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ગોંડલ અને જેતપુર) માંથી અંદાજે 30,000 થી 40,000 જેટલા રમતવીરોએ નોંધણી કરાવી હતી. પ્રાથમિક તબક્કાની સ્પર્ધાઓ બાદ હવે ફિનાલેના જંગમાં 1800 જેટલા ફિનાલિસ્ટ ખેલાડીઓ પસંદ થયા છે. આ મહોત્સવમાં વયની કોઈ મર્યાદા આડે આવી નથી; અહીં 12 વર્ષના બાળકોથી લઈને 82 વર્ષના વૃદ્ધો પણ રમતગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. કબડ્ડી, ખો-ખો, કુસ્તી, રસ્સાખેંચ, એથ્લેટિક્સ અને યોગા જેવી પરંપરાગત અને આધુનિક રમતોમાં રમતવીરો જોર અજમાવી રહ્યા છે. ​ખેલ એ જીવનશૈલી છે: મનસુખ માંડવીયા ​ખેલાડીઓને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, PM મોદીની પ્રેરણાથી દેશના 290 થી વધુ સાંસદોએ આ પ્રકારના આયોજન કર્યા છે, જેમાં સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ યુવાનો જોડાયા છે. પોરબંદર લોકસભામાં જ 38,000 થી વધુ યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે ગૌરવની વાત છે. સ્પોર્ટ્સમાં કોઈ હારતું નથી, કાં તો જીતે છે અથવા તો શીખે છે. રમત એ માત્ર સ્પર્ધા નથી પણ એક જીવનશૈલી અને સંસ્કૃતિ છે.​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત 2036 માં ઓલિમ્પિકનું આયોજન કરવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે અને આવા સ્થાનિક સ્તરના મહોત્સવ જ ભવિષ્યના ચેમ્પિયન તૈયાર કરશે. ​2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકનું લક્ષ્ય ​આ પ્રસંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ભારતમાં રમતગમત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, જે 2036 ના ઓલિમ્પિક માટે પાયો તૈયાર કરશે. વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવે. મેડાલિસ્ટોનું સન્માન અને મણિયારા રાસની જમાવટ ​કાર્યક્રમના પ્રારંભમાં ખેલાડીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરી હતી. રમતવીરોમાં જોમ ભરવા માટે મણિયારા રાસની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડાલિસ્ટ પ્રિયંકાબેન ગોસ્વામીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને જીતના મંત્રો આપ્યા હતા. ઈન્ટર યુનિવર્સિટી યોગા સ્પર્ધાના ગોલ્ડ મેડાલિસ્ટ વાજા શાહનવાજનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ​PM મોદીએ સ્પર્ધકોને વર્ચ્યુઅલી પ્રોત્સાહિત કર્યા​આ મહોત્સવના સમાપન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે રમતવીરો અને આયોજક સાંસદોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ યુવા શક્તિને સંગઠિત કરવાનું એક મોટું માધ્યમ બન્યું છે.આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, મહેન્દ્ર પાડલીયા સહિતના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:35 pm

નખત્રાણા પોલીસ ટ્રાફિક સમસ્યા નિવારવા એક્શન મોડમાં:બેરૂનાકાથી વથાણચોક સુધી પાર્કિંગ નિયમો કડક બનાવાયા

નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક બી.બી. ભગોરાની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણાના બેરૂનાકાથી વથાણચોક સુધીના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પગલાં લેવાઈ રહ્યા છે. આ અંતર્ગત, નખત્રાણા ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકોને તેમની રિક્ષાઓ લાઈનમાં રાખવા અને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, પાન ગલ્લાના માલિકોને પણ તેમના ગલ્લા પાસે આડેધડ વાહનો પાર્ક ન થાય તેની તકેદારી રાખવા સમજાવવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નખત્રાણાના સન રાઈઝ કોમ્પ્લેક્સ સામે, પ્રિન્સ મોબાઈલ સામે અને આંબેડકર ચોક સામે 'નો પાર્કિંગ'ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ જાહેર જગ્યાએ આડેધડ વાહનો પાર્ક ન કરે. જો વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરેલું નહીં હોય, તો તેને લોક લગાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા જણાવાયું છે. વધુમાં, જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:35 pm

'HIV ગ્રસ્ત મહિલા કર્મચારીનું હેલ્થ મુદ્દે પ્રમોશન રોકી શકાય નહીં':હાઇકોર્ટની CRPF અને યુનિયન ઓફ ઈન્ડિયાને શો કોઝ નોટિસ

ગુજરાત હાઇકોર્ટમાં એક મહિલા અરજદારે એડવોકેટ સ્વપ્નેશ્વર ગૌતમ મારફતે અરજી દાખલ કરી હતી. જેમાં તેને CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મિનિસ્ટ્રીઅલ પોસ્ટના પ્રમોશનના વર્ષ 2011ના નિયમોને ચેલેન્જ કર્યા હતાં. તેને જણાવ્યું હતું કે, તે પોતે HIV AIDS ગ્રસીત હોવાથી તેને પ્રમોશન અપાઇ રહ્યું નથી. કારણમાં એવું જણાવાઈ રહ્યું છે કે તે આ નિયમો અંતર્ગત શેપ 01 કેટેગરીમાં આવતા નથી અને મેડિકલ બોર્ડના અભિપ્રાય મુજબ તેઓ ઉચ્ચ કક્ષાની બીમારીથી પીડિત છે. મહિલા અરજદાર સાથે ભેદભાવ અને પ્રમોશનથી વંચિત રખાઈહાઇકોર્ટે ગત ઓગસ્ટ મહિનામાં અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને તેના અને અન્ય આવા અનેક લોકોના હિતમાં ચુકાદો આપતા નોંધ્યું હતું કે અરજદાર સાથે ભેદભાવ થયો છે અને તેને પ્રમોશનથી વંચિત રાખવામાં આવેલ છે. તેના જુનિયર્સને પ્રમોશન અપાયું પણ તેને અપાયું નથી. જેથી હાઇકોર્ટે સંલગ્ન ઓથોરિટીને અરજદારને પ્રમોશન આપવા નિર્દેશ આપે છે. ઉપરાંત જ્યારથી તેણે પ્રમોશન મળવું જોઈતું હતું, ત્યારથી બધા જ લાભ તેને આપવા પડશે. તેને એરિયર્સ ચૂકવવા પડશે. આ તમામ પ્રક્રિયા 02 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. જો તેમ ન થાય તો અરજદાર આ કોર્ટની સહાયતા લઈ શકશે. આવા નિયમો બંધારણીય હક્કોનો ભંગ કરે છે. આવો ભેદભાવ દૂર થવો જોઈએ. જુનિયર્સની સમકક્ષ 2016માં પ્રમોશન મળવું જોઈતું હતુંજો કે અરજદારે ફરી હાઇકોર્ટના શરણે આવવું પડ્યું હતું કારણ કે હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ લખ્યું હતું કે અરજદારના જુનિયર્સને જ્યારથી પ્રમોશન અપાયું હોય તે તારીખથી તેને પણ પ્રમોશન આપવામાં આવે. આમ છત્તા અરજદારને ઓથોરિટીએ વર્ષ 2019થી પ્રમોશન આપવાની તૈયારી બતાવી હતી. કારણ કે તેનો છેલ્લો હેલ્થ રીપોર્ટ 2018માં નીકળ્યો હતો. પરંતુ તેને તેના જુનિયર્સની સમકક્ષ 2016માં પ્રમોશન મળવું જોઈતું હતું અને તેના બધા લાભ પણ મળવા જોતા હતા. કારણ કે 2015માં પણ મેડિકલ રિપોર્ટ નીકળ્યો હતો અને તેની સાથે અન્યાય થતાં તેને પ્રમોશન મળ્યું નહોતું. હાઇકોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા અને CRPFને શો કોઝ નોટિસ પાઠવીહાઇકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેના ઓર્ડરમાં સ્પષ્ટતા હતી કે અરજદારના જુનિયરને પ્રમોશન આપવામાં આવ્યું હોય ત્યારથી જ અરજદારને પ્રમોશન સહિતના લાભ અપાય. ઉપરોક્ત અરજી સંદર્ભે યુનિયન ઓફ ઇન્ડિયા વતી ઉપસ્થિત થયેલા વકીલે તેનો જવાબ આપવા 02 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા અને CRPFને શો કોઝ નોટિસ પાઠવી હતી અને પ્રશ્ન પણ કર્યો હતો કે શા માટે તેઓએ જાણી જોઈને કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું નથી ? આ અંગે વધુ સુનાવણી 20 જાન્યુઆરીના રોજ યોજાશે. ત્યાં સુધી CRPF પોતાના વલણમાં સુધારાત્મક પગલાં લઈ શકે છે. 'હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં'અગાઉ મૂળ અરજી ઉપરની સુનવણીમાં અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં. જો સરકાર એવું સાબિત કરે કે અરજદારના હેલ્થના કારણે તેને સોંપાયેલ કામ તે કરી શકશે નહીં, તો જ તેઓ દલીલ કરી શકે છે. પરંતુ અરજદારનું પ્રમોશન જે પોસ્ટ પર થવું જોઈએ તે મિનિસ્ટરિયલ જોબ છે. પ્રમોશનની આ પ્રમાણેની જોગવાઈઓ સ્પષ્ટ રીતે ભેદભાવ દર્શાવે છે. HIV કે હ્રદય સંબંધિત બીમારીઓ એ બધું બીમારી અંતર્ગત જ આવે છે, આ ફક્ત એક માંદગી છે. જે નિયમો અગાઉ બન્યા હોય તેને અત્યારે ચાલુ રાખવા જરૂરી નથી. 'અરજદારને જે પ્રમોશન લેવાનું છે, તેમાં ફિલ્ડ વર્કની ડ્યુટી નથી'કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે હૃદયના બીમાર કે વધુ પડતી ડાયાબિટીસથી પીડિત વ્યક્તિને કઈ કેટેગરીમાં મુકાશે ? આવી જોગવાઈઓ અને કેટેગરી પાછળ શું લોજીક છે ? અરજદારને જે પ્રમોશન લેવાનું છે, તેમાં ફિલ્ડ વર્કની ડ્યુટી નથી. અમુક લોકોને બાકાત રાખવા જ આવો માપદંડ નક્કી કરાયો હોય તેમ લાગી રહ્યું છે ! આ બંધારણીય મુદ્દો છે. અરજદાર માત્ર HIV ગ્રસિત હોવાથી તેમને પ્રમોશન અપાયું નથી ! આ ભેદભાવનો સીધો જ મુદ્દો છે. અરજદારે ચેલેન્જ કરેલા નિયમો તે HIV એઇડ્સ એક્ટ 2017ના વિરુદ્ધના છે. આ નિયમ બંધારણના આર્ટિકલ 14, 16 અને 21નો ભંગ કરે છે. અરજદારને સતત પ્રમોશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:14 pm

શ્રમજીવી કચરો વીણતો હતો ને ડેડબોડી મળી:આદિવાડા ગામની ઝાડીઓમાં કોહવાયેલો મૃતદેહ જોઈને સફાઈકર્મી ગભરાયો, પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી

ગાંધીનગરના આદિવાડા ગામની ઝાડીમાંથી 40 વર્ષીય શ્રમજીવીની કીડાથી ખદબદતી અને અતિશય દુર્ગંધ મારતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સેક્ટર-21 પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા લાશ ગામના મિસ્ત્રીની હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહનું પેનલથી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. શ્રમજીવીને કચરો વીણતા દરમિયાન દુર્ગંધ આવતા શંકા ગઈપ્રાપ્ત વિગતો મુજબ આજે આદિવાડા ગામની વનરાજીમાં એક શ્રમજીવી કચરો વીણવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ઝાડીઓમાંથી અસહ્ય દુર્ગંધ આવતા તેણે તપાસ કરી હતી. જ્યાં એક અજાણ્યા પુરુષની લાશ કીડાથી ખદબદતી હાલતમાં પડી હતી. આ બિહામણું દૃશ્ય જોઈ શ્રમજીવી ગભરાઈને ભાગ્યો હતો અને તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ સેક્ટર-21 પોલીસ મથકના ASI દશરથભાઈ પરમાર અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાશ એટલી હદે વિકૃત થઈ ગઈ હતી અને તેના પર એટલા કીડા હતા કે ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. માનવતાના ધોરણે પોલીસે પાણીનું ટેન્કર મંગાવી લાશને કીડાઓથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. PM રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશેપોલીસ તપાસમાં મૃતકની ઓળખ વિજયજી ચેહુજી મકવાણા (ઉં.વ. 40, રહે. આદિવાડા) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ વિજયજી મિસ્ત્રી કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની વિજૂજી અને એક પુત્ર રુદ્રાક્ષ છે. વિજયજી દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા.જેના કારણે ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો. આ કંકાસને લીધે તેઓ છેલ્લા એક મહિનાથી ઘરે ગયા નહોતા. પ્રાથમિક તપાસમાં લાશ અંદાજે ચાર દિવસ જૂની હોવાનું જણાયું છે. સેક્ટર-21 પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવવા સિવિલ હોસ્પિટલ ખસેડી છે. વિજયજીનું મોત દારૂના વધુ પડતા સેવનથી થયું છે, કુદરતી છે કે અન્ય કોઈ કારણોસર તે PM રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:07 pm

અસલાલી નારોલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત:ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતા જ કાર પલટી ગઈ, 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત; 4 મિત્રોનો આબાદ બચાવ

અમદાવાદના અસલાલી નારોલ હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લાંબા ટર્નિંગ પહેલાં એર ફીટના ગોડાઉન સામે કારચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકની બાજુમાંથી ઓવરટેક કરવા જતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ કાર બેકાબૂ થતાં સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. પરંતુ આ અકસ્માતમાં 20 વર્ષીય કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય 4 મિત્રોનો આબાદ બચાવ થયો હતો. ટ્રકને ઓવરટેક કરવા જતા કાર પરથી કાબુ ગુમાવ્યોગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ પાંચ મિત્રોને અકસ્માત નડ્યો હતો. પાંચેય મિત્રો GJ27EB4175 નંબરની કારમાં અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યા હતા. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવક હસનેન રફિકભાઈ પટેલ ગાડી ચલાવી રહ્યો હતો. નારોલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે હસનેને એર ફીટના ગોડાઉન સામે એક કન્ટેનર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા જ ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ડીવાઈડર સાથે અથડાઈ પલટી ખાતા ડ્રાઈવરનું મોતકારની સ્પીડ વધારે હોવાથી કાર હસનેનના કંટ્રોલ બહાર જતી રહી હતી. કાર બેકાબૂ થતાં જ સીધી જ હાઈવે પર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડીવાઈડરની રેલીંગ તોડીને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક 20 વર્ષીય હસનેન રફિકભાઈ પટેલને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અન્ય 4 મિત્રોનો ચમત્કારિક બચાવજ્યારે કારમાં સવાર અન્ય 4 મિત્રોનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો. અન્ય ચાર મિત્રોને કોઈપણ ઈજાઓ પહોંચી ન હતી. હસનેનનું મોત થતા દાણીલીમડા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. જો કે અકસ્માત થતા જ મોડી રાત્રે પણ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નથી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:07 pm

'તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં ખૂલ્યું છે':મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે નવસારીના ડોક્ટર ડિજિટલ અરેસ્ટ, 50 લાખની માગ; PIએ ઠગબાજોની ચુંગાલમાંથી છોડાવ્યા

નવસારીના 82 વર્ષીય વયોવૃદ્ધ ડૉ. બીપીન ગાંધીને ગત 25 ઓગસ્ટ, 2025ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ અધિકારીના નામે ફોન આવ્યો અને વીડિયો કોલ એટેન્ડ કરવા કહ્યું હતું. વીડિયો કૉલ ઉપાડતાં જ નવસારીના ડોક્ટરને ઠગબાજોએ કહ્યું કે, અમે મુંબઈક ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને તમારૂ નામ મની લોન્ડરિંગ કેસમાં ખુલ્યું છે. ડૉ. બીપીનના ખાતામાં લાખો રૂપિયા જમા થયા હોવાનું જણાવી, તેમને ઘરના બારી બારણા બંધ કરી, ઘરની બહાર ન નીકળવા કહ્યું હતું. તેમજ ડૉ. બીપીનના બેંક એકાઉન્ટની માહિતી આપવા સાથે કેસથી બચવા તેમની પાસેથી 50 લાખ રૂપિયા ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોક્ટરે આ મામલે નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકના PI ઉમંગ મોદીનો સંપર્ક કરતા પોલીસે ઠગબાજોની ચુંગાલમાંથી વૃદ્ધને છોડાવ્યાં હતા. સમગ્ર મુદ્દે લોકોમાં જાગૃતિ આવે અને સાયબર ઠગોના ચુંગાલમાં કોઈ ફસાઈ નહીં, એ હેતુથી ડૉ. બીપીને પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી હતી. ડૉ.બીપીન ગાંધીએ જણાવ્યું કે, 25 ઓગસ્ટના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ, મારા પત્ની પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. શંકા જતાં તેમણે ફોન મને આપ્યો. મેં તે વ્યક્તિ સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેમણે તરત જ વીડિયો કોલ શરૂ કર્યો હતો. અમે બંને સાથે બેઠા હતા ત્યારે તેમણે અમારી પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે અમારી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે અને તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, સામાન્ય રીતે તમારે મુંબઈ આવવું પડે, પરંતુ તમારી ઉંમર જોતા તેઓ વીડિયો કોલ દ્વારા જ આ પૂછપરછ કરશે. 'ઘરની તમામ બારીઓ-દરવાજા બંધ કરી દેવાની સૂચના આપી'વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ તે વ્યક્તિએ અમને ઘરની તમામ બારીઓ અને દરવાજા બંધ કરી દેવાની સૂચના આપી, જેથી કોઈ અમને જોઈ કે સાંભળી ન શકે. તેમણે અમને ચેતવણી આપી કે, આ વાત વિશે કોઈને જાણ કરવી નહીં અને ભારપૂર્વક કહ્યું કે, અમારે સાચા જવાબો જ આપવા પડશે. તેમણે ધમકી આપી કે, જો અમે કોઈ ખોટી માહિતી આપીશું, તો અમારી પર દેશદ્રોહનો ગુનો નોંધાશે અને કડક સજા થશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, અમારા જવાબો આખી પ્રક્રિયા દરમિયાન એકસમાન હોવા જોઈએ, નહીંતર અમારે કાયદાકીય પરિણામો ભોગવવા પડશે. 'સતત ધમકીઓને કારણે અમને શંકા ગઈ'ડૉ.બીપીન ગાંધીએ કહ્યું કે, વીડિયો કોલ દરમિયાન, શરૂઆતમાં મેં એક વ્યક્તિને સાદા કપડામાં જોઈ. ત્યારબાદ, તેમણે અમને બીજો એક રૂમ બતાવ્યો જ્યાં પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિ દેખાયો. આ આખું સેટઅપ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે તે અસલી પોલીસ ઓફિસ જેવું લાગે, જેના કારણે અમને વધુ ચિંતા થઈ અને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર કોઈ કાયદાકીય મામલો છે. જોકે, તેમની સતત ધમકીઓને કારણે અમને શંકા ગઈ કે આ કદાચ કોઈ છેતરપિંડી (સ્કેમ) હોઈ શકે છે. અમે કોલ કાપી નાખવાનું નક્કી કર્યું અને મેં તરત જ મારા મિત્ર ચંદ્રકાંતનો સંપર્ક કર્યો, જેઓ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) છે. 'કોલ કાપી નાખ્યો છતાં, વારંવાર વીડિયો કોલ આવતા રહ્યા'વધુમાં જણાવ્યું કે, ચંદ્રકાંતભાઈએ મને આશ્વાસન આપ્યું અને ચિંતા ન કરવા કહ્યું. તેમણે મને તેમના મિત્ર ઉમંગ મોદીનો સંપર્ક કરવા સૂચવ્યું અને મારા વતી તેમને ફોન કરવાની પણ તૈયારી બતાવી. ત્યારબાદ મેં ઉમંગનો સંપર્ક કર્યો, જેઓ તે સમયે તેમની ઓફિસમાં હતા. હું ઝડપથી તેમને મળવા નીકળ્યો. આ દરમિયાન, મેં કોલ કાપી નાખ્યો હોવા છતાં, પેલા છેતરપિંડી કરનારાઓ તરફથી વારંવાર વીડિયો કોલ આવતા રહ્યા હતા. 'લગભગ બે કલાકની માનસિક હેરાનગતિ પછી આ પરિસ્થિતિનો અંત આવ્યો'ડૉ.બીપીન ગાંધીએ જણાવ્યું કે, હું ઉમંગની ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે પણ મારો ફોન સતત રણકતો રહ્યો, પણ મેં એક પણ કોલ ઉપાડ્યો નહીં. જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે ફરીથી ફોન આવ્યો અને મેં ફોન ઉમંગને આપી દીધો. તેમણે તે લોકો સાથે વાત કરી અને તેમના નામ પૂછ્યા, પરંતુ તેમણે પોતાની ઓળખ આપવાનો ઇનકાર કર્યો. ઉમંગ તરત જ સમજી ગયા કે આ એક ફ્રોડ છે અને તેમણે તેમને કડક અને અધિકૃત અવાજમાં જવાબ આપ્યો. ત્યારબાદ તેમણે કોલ કાપી નાખ્યો, અને લગભગ બે કલાકની માનસિક હેરાનગતિ પછી આ પરિસ્થિતિનો અંત આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, આ સાયબર ફ્રોડમાંથી બચી જવા બદલ મને ખૂબ જ રાહત થઈ છે અને હું આભારી છું. સમયસર મદદ કરવા અને સાચા સત્તાવાળાઓની મદદ લેવાનું મહત્વ સમજાવવા બદલ હું ઉમંગ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમણે મને તે કોન્ટેક્ટ ડીલીટ કરી દેવાની સલાહ આપી અને હવે બધું બરાબર છે તેમ કહી ચિંતા ન કરવા જણાવ્યું. ત્યારથી મને ફરીથી આવા કોઈ શંકાસ્પદ કોલ આવ્યાં નથી. 'ડિજિટલ અરેસ્ટ થયાનું ધ્યાનમાં આવે તો પોલીસનો સંપર્ક કરજો'સાયબર ક્રાઇમના PI ઉમંગ મોદી જણાવે છે કે, આપણી અડોસ પડોશમાં કે મિત્ર વર્તુળમાં પણ કોઈ ઉમર લાયક વ્યક્તિ જે હળતા મળતા હોય બધા સાથે વાતચીત કરતા હોય અને અમુક દિવસથી અચાનકથી આ રીતે કોઈ સાથે મળવાનું બંધ કરી નાખે વાતચીત કરવાનું બંધ કરી નાખે ઘરમાં એકલા એકલા રહેતા હોય, તો આપ એક જાગૃત નાગરિક તરીકે એમની મુલાકાત લેજો અને જો આવું કોઈ ધ્યાનમાં આવે કે ડિજિટલ અરેસ્ટ કે એવું કંઈક થયું છે તો તુરંત પોલીસનો સંપર્ક કરજો. આપણી જાગૃતતાથી આપણે અડોસ-પડોસના લોકો, આપણા મિત્ર વર્તુળના લોકોને પણ ડિજિટલ અરેસ્ટના સ્કેમથી બચાવી શકીએ છીએ. 'APK ફાઈલથી સૌથી વધારે ફ્રોડ થાય છે'PI ઉમંગ મોદીએ જણાવ્યું કે, અત્યારે એક APKથી સૌથી વધારે ફ્રોડ થતું જોવા મળે છે. જેમાં વોટ્સએપની અંદર કોઈપણ વેડિંગ ઇન્વિટેશન અથવા તો હમણાં જે ઇલેક્શનની કામગીરી ચાલી હતી ત્યારે 2002 Voter list.apk, આવી કોઈપણ નામથી APK ફાઈલ આવતી હોય છે અથવા RTO Chalan.apk આવે છે, તો આવી કોઈપણ APK આવે તો એ ફ્રોડ છે. તમારે વોટ્સએપની અંદર કોઈ અજાણ્યા નંબર ઉપરથી આવો કોઈ મેસેજ આવે છે તો એને પેલા વાંચો અને એમાં કોઈ APK ફાઈલ હોય તો એ ફ્રોડ છે એમ માનીને મેસેજને અને ચેટને જ ડીલીટ કરી દેવી, એની ઉપર ક્લિક કરવું નહીં. વધુમાં જણાવ્યું કે, આવો કોઈપણ APK તમારી અંદર ભૂલથી ઇન્સ્ટોલ થઈ જાય તો તરત મોબાઈલના સિમ કાર્ડ કાઢી નાખવા અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેવો જેથી ફાઇનાન્શિયલ કોઈ ટ્રાન્ઝેકશન થાય નહિં અને તમે આ ફ્રોડથી બચી શકો છો. આની અંદર જો તમારા કોઈ ઓળખીતા વ્યક્તિનો પણ આ રીતે APK ઇન્સ્ટોલ થઈ ગઈ હશે એટલે કે એમનો ફોન હેક થઈ ગયો હોય તો એમના નંબર ઉપરથી પણ તમને આવો મેસેજ આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:04 pm

સહજ ગ્રુપે 2025ની ગંભીરા બ્રિજ, પુલવામા ઘટનાઓને રંગોળીમાં ઉતારી:રંગોળી ગ્રુપનું ખાસ ઓનલાઇન પ્રદર્શન, 2025ની ઘટનાઓને રંગોળીમાં ઉતારી વર્ષને આપી વિદાય

વડોદરાનું સહજ રંગોળી ગ્રુપ હંમેશા અવનવા કાર્યક્રમોમાં રંગોળી માટે ખૂબ જાણીતું છે. આ ગ્રુપ દ્વારા વાર તહેવાર કે કોઈપણ યાદગાર પ્રસંગને અનુરૂપ રંગોળી પ્રદર્શનનું આયોજન કરતું હોય છે. વર્ષે 2025ની વિદાય માટે સ્પેશિયલ ઓનલાઇન રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન સારી-નરસી યાદોને પ્રદર્શિત કરવામાં આવી છે, જે તમામ કલાકારોએ પોતાની મહેનતથી રંગોળી તૈયાર કરી છે. સહજ રંગોળી ગ્રુપ હંમેશા અવનવી થીમ પર રંગોળી બનાવવામાં પ્રચલિત છેસહજ રંગોળી ગ્રુપના વિધાર્થીઓ તથા કલાકારો દ્વારા સાલ 2025ને વિદાય આપવા માટે આખા વર્ષ દરમ્યાન બનેલ યાદગાર ઘટનાઓનું રંગોળી દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે અને એ રંગોળીનું સહજ રંગોળી ગ્રુપના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા કલારસિક જનતા સુધી પહોંચાડવામાં આવ્યું છે. સહજ રંગોળી ગ્રુપ હંમેશા અવનવી થીમ પર રંગોળી બનાવવામાં ખૂબ જ પ્રચલિત છે. 2025ની દુ:ખદ ઘટનાઓની રંગોળીમાં દર્શાવી હતીસહજ ગ્રુપના કલાકારો દ્વારા તૈયાર કરાયેલ રંગોળીઓમાં ખાસ કરીને વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતું ટેન્કર,આજે ગુજરાતી ફિલ્મ જગતમાં ધૂમ મચાવનાર લાલો ફિલ્મનું પોસ્ટર , ઓપરેશન સિંદૂર,વુમન્સ વર્લ્ડ કપ,પુલવામા એટેક સહિત અનેક રંગોળી તૈયાર કરી વર્ષ 2025ની યાદોને તાજી કરી હતી. રંગોળી પ્રદર્શનમાં કલાકાર અને વિદ્યાર્થીઓએ આપી હતી હાજરીઆ રંગોળી પ્રદર્શનમાં તૈયાર કરેલ પ્રતિકૃતિઓમાં કલાકાર અને વિદ્યાર્થીઓ જેમાં રંગોળી ગ્રુપના કરતા હરતા કમલેશ વ્યાસ, મીના વ્યાસ, પ્રશાંત કાઠેશિયા, મીનાક્ષી વાલા, રચના સોની, જીનલ ઠાકોર, સ્નેહલ દિઘે, જ્યોતિ પટેલ, સ્નેહા મકવાણા, બીના ચૌહાણ, ધ્રુવા ગાંધી, નવ્યા પટેલ, ભાવના આચાર્ય, મોના અહલાપરા, મનીષા પટેલ, ડો. સેજલ પરસાણા, ગ્રીષ્મા ચોક્સી અને હેત્વી શાહ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:55 pm

ઝરીયા ગામે નંદઘરનું લોકાર્પણ કરાયું:મનરેગા યોજના હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ માટે સુવિધા અપાઈ

બોટાદ તાલુકાના ઝરીયા ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અંતર્ગત નવનિર્મિત નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના હસ્તે આ નંદઘરનું ઉદ્ઘાટન થયું હતું. આ નંદઘરનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના નાના બાળકોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. તેના દ્વારા બાળકોને પોષણ, પ્રારંભિક શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી મહત્વપૂર્ણ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. લોકાર્પણ પ્રસંગે નિયામક ડી.આર.ડી.એ. અને તેમનો સ્ટાફ, માર્કેટિંગ યાર્ડ બોટાદના ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર ICDS અને તેમની ટીમ, તાલુકા વિકાસ અધિકારી તેમજ IRD સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, નંદઘરના મહત્વ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વક્તાઓએ મનરેગા યોજના હેઠળ ગ્રામ વિકાસ, બાળ કલ્યાણ અને સામાજિક સુવિધાઓને મજબૂત બનાવવા માટે લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે નંદઘર જેવી સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને સારા આરંભિક સંસ્કાર અને પોષણ મળશે, જે ભવિષ્યના સશક્ત નાગરિકોના નિર્માણમાં મદદરૂપ થશે. ઝરીયા ગામે નંદઘરના લોકાર્પણ સાથે ગ્રામ વિકાસ અને બાળ કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનો સૌએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:53 pm

આંબાવાડીની H L કોલોની પર હાઉસિંગ બોર્ડ ત્રાટકયું:રહેણાંકના સ્થાને કોમર્શીયલ ઉપયોગ કરતાં 19 મકાનો સીલ કરાયા

ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ગેરકાયદેસર મકાનોનો રાફડો ફાટી નીકળ્યો છે તે જગજાહેર બાબત છે. તેમાંય આ મકાનોનો હેતુફેર કરીને લોકોએ શો રૂમોથી માંડીને હોસ્પિટલો તેમ જ રેસ્ટોરન્ટ વગેરે તાણી દીધું છે. જેના કારણે જ ભારે હોબાળો મચેલો છે. આ અંગે માનવ અધિકાર આયોગ દ્રારા કરાયેલાં આદેશના પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ એચ એન્ડ એલ કોલોનીમાં ગઇકાલે મંગળવારે ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો. અને એકસાથે 19 રહેણાંકમાંથી કોમર્શીયલ બનેલી મિલકતોને સીલ મારી દીધાં હતા. તેમાં ફીઝીયોથેરાપી સહિત પી.જી. તેમ જ શૂઝ વેરહાઉસ ઉપરાંત ફાસ્ટ ફૂડ તેમ જ પાન પાર્લર વગેરનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન જીરો પ્લસ વન માળની ઉપર એક આખો ફલોર ઊભો કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ બે ફલેટો વચ્ચે બ્રીજ બાંધીને ઉપયોગ કરતાં પણ નજરે પડયાં હતા. 30થી વધુ લોકોને 25 જુલાઇના રોજ નોટિસ આપી હતીઅમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલાં એચ.એલ. કોલોનીમાં કેટલાંક લોકોએ રહેણાંક મકાનોનો કોમર્શીયલ ઉપયોગ ચાલુ કરતાં હોવાની રજૂઆત એચ એન્ડ એલ કોલોની રહીશોના એસોસીએશન દ્રારા ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વિવિધ વિભાગોને સમક્ષ કરી હતી. જો કે આ અંગે ગુજરાત માનવ અધિકાર આયોગે સુઓમોટો દાખલ કરીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડે 30થી વધુ લોકોને 25 જુલાઇના રોજ નોટિસ આપી હતી. ત્યારબાદ ફરીવાર 8 નવેમ્બર, 2025ના રોજ નોટીસ આપીને સાત દિવસમાં રહેણાંકનો કોમર્શીયલ ઉપયોગ બંધ કરવા માટે સૂચના આપી હતી. નહીં તો મકાનોને સીલ મારવામાં આવશે તેવી ચીમકી આપી હતી. 19 રહેણાંકમાં કોમર્શીયલ યુઝ ચાલુ હોવાથી તેને સીલ મરાયાઆ હુક્મ બાદ ગઇકાલે 23 ડિસેમ્બરના રોજ સવારે 10-30 વાગ્યે ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્હાગીર વ્યવસ્થાપક એમ.એમ. રોહિતની રાહબરી હેઠળ સ્ટાફનો કાફલો પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આંબાવાડી સ્થિત એચ એન્ડ એલ કોલોનીમાં દરોડા પાડયાં હતા. રાત્રિના 8-30 વાગ્યા સુધી કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન કેટલાંકે ઇમ્પેક્ટ ફી ભરી દીધી હોવાના અથવા તો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાથી કામગીરી કરી શકયા ન હતા. 19 રહેણાંકમાં કોમર્શીયલ યુઝ ચાલુ હોવાથી તેને સીલ મારી દીધાં હતા. હજુ 11 મિલકતો સામેની કાર્યવાહી હવે પછી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થવા પામી છે. 1 માળના ફલેટમાં કોઇએ આખો બીજો ફલોર ઊભો કરી દીધો હતોનવાઇ અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ જોવા મળી હતી કે ગ્રાઉન્ડ પ્લસ 1 માળના ફલેટમાં કોઇએ આખો બીજો ફલોર ઊભો કરી દીધો હતો. ત્યાં સુધી એક વ્યક્તિએ તો આજુબાજુના બ્લોકમાં અવરજવર કરવા માટે વચ્ચે બ્રીજ બનાવી દીધો હતો. આ ઉપરાંત આ કોલોનીમાં બે રૂમ રસોડાં વાળા ફલેટમાં પેઇંગ ગેસ્ટ (પી.જી.) ઊભાં કરવામાં આવ્યા હોવાના જોવા મળ્યાં હતાં. જેમાં એક ફલેટમાં તો 90 જણાં તો બીજામાં 50ની સંખ્યા રહેતી હોવાનું જોવા મળ્યું હતું. તો એક ફલેટની દિવાલો તોડી નાંખીને સ્ટીલની ગર્ડર ફીટ કરીને મ્યુઝીક એકેડેમી ઊભી કરી દેવામાં આવી હતી. જો કે તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાનું હાઉસિંગ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. સીલ મરાયેલાં 19 ફલેટોમાં શું ચાલતું હતું

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:48 pm

હૈદરાબાદના ડિજિટલ એરેસ્ટ કેસનું પગેરું ભાવનગરમાં નીકળ્યું:હૈદરાબાદ પોલીસે બે શખ્સોને ઉઠાવ્યા, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.97 કરોડ પડાવ્યા હતા

ભાવનગરનું નામ હર હંમેશા જીએસટી અને સાઈબર ફ્રોડ માટે મોખરે રહ્યું છે. આંતરરાજ્ય ગુનાનો રેલો ભાવનગ૨ સુધી લંબાતો આવ્યો છે. ત્યારે વધુ એકવાર હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનું પગેરુ ભાવનગરમાં નીકળ્યું છે. હૈદરાબાદ પોલીસે ભાવનગર આવી વડવા વિસ્તારના બે શખસને ઉઠાવી લીધા છે. વિદેશમાંથી કોઈ શખ્સે તમારા નામે ડ્રગ્સનું પાર્સલ આવ્યુ હોવાનું કહી એક વૃદ્ધાને ડિીજિટલ એરેસ્ટ કરી રૂા. 1.97 કરોડ પડાવી લીધા હતા. જે મામલે ગુનો દાખલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા તે એકાઉન્ટના મૂળ ભાવનગરમાં નીકળ્યાબનાવની જાણવા મળતી વિગતો અનુસાર હૈદરાબાદના એક વૃદ્ધાને ગઠીયાએ ફોન કરી તમારે ત્યા ડ્રગ્સનું પાર્સલ આવ્યુ છે. તેમ કહી ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી પતાવટ પેટે રૂા.1.97 કરોડ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મેળવી લઈ ફોડ કર્યુ હતું. જે મામલે વૃદ્ધાએ હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ગત તા.13 ડિસેમ્બરના રોજ ગુનો દાખલ કરાવ્યો હતો. હૈદરાબાદ પોલીસની તપાસ દરમિયાન સાયબર ફ્રોડનું પગેરુ ભાવનગરમાં નીકળ્યુ હતું. માત્ર એટલું જ નહીં વૃદ્ધાએ જે પૈસા ટ્રાન્સફર કર્યા હતા તે એકાઉન્ટના મૂળ ભાવનગરમાં નીકળ્યા હતા .જેના પગલે ગઈકાલે હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારી ભાવનગર દોડી આવ્યા હતા. અને સ્થાનિક પોલીસની મદદ સાથે તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સાંજના ભાવનગર શહેરના વડવા વિસ્તારમા રહેતા અનાસ રહિમભાઈ બેલીમ અને શોએબ સૈયદ નામના બે શખસને ઉઠાવી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન ભાવનગરમાંથી ઝડપાયેલા બન્ને શખસ ગરીબ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા સુરતના બે શખસને ખાતા ઓપરેટ કરવા આપતા હોવાની વિગતો તપાસમાં ખુલી હોવાનું જાણવા મળ્યુ હતું. સાયબર ફ્રોડ મામલે ઝડપાયેલા વડવાના બન્ને શખસને ઉઠાવી લીધા છે.આ કેસમાં અન્યના નામ પણ ખુલવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:41 pm

31st પહેલા જ SG હાઈવે પર SOGના ધાડેધાડા ઉતર્યા:અમદાવાદમાં ભર બપોરે નશેડીઓને પકડવા ડ્રગ્સ એનાલાઇઝર કીટથી લોકોના સેમ્પલ લીધા

અમદાવાદમાં 31st ડિસેમ્બર અગાઉ નશાનું સેવન કરતા શખસોને પકડવા માટે SOG દ્વારા શહેરના SG હાઈવે પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. SOGની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહનચાલકોને તપાસવામાં આવ્યા હતા. જોકે, સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે ભર બપોરે SOG દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ નશો કરનાર મળી આવ્યો નહોતો. SOGની ટીમો દ્વારા ભર બપોરે વાહનચાલકોનું ચેકિંગSOG દ્વારા નવા વર્ષ અગાઉ જ શહેરમાં પાર્ટી કરનાર કે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનાર શખસોને પકડવા માટે એસ.જી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન SOG દ્વારા અનેક મોંઘીદાટ ગાડીઓને રોકીને ડ્રાઈવરનું કીટ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું તરત જ રિઝલ્ટ પણ મળતું હતું. SOGની 3-4 ટીમ દ્વારા ભર બપોરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્લાઇવા કીટથી વાહનચાલકોને ચકાસ્યા પણ કંઈ ન મળ્યુંવાહનચાલકોને રોકીને ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે સ્લાઇવા કીટ દ્વારા મોઢામાં મૂકાવી લાળના સેમ્પલ લઈ મશીનમાં ચેક કરવામાં આવ્યું હતું. મશીનમાં ચેક કરતા જ મિનિટમાં જ રિઝલ્ટ મળી આવતું હતું. જોકે અનેક વાહનચાલકોને ચેક કર્યા પરંતુ કોઈપણ વાહનચાલક નશામાં મળી આવ્યો નહોતો. રાતના સમયે ચેક કરવામાં આવે તો પરિણામ મળી શકતું પરંતુ દિવસે કઈ મળ્યું નહોતું. ડ્રગ્સ એનાલાઇઝર કીટ દ્વારા ચેક કરાયા: વી.એચ જોશીSOGના પીઆઇ વી.એચ જોશીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચેકિંગ માટે ચાર પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સિંધુભવન રોડ, સી.જી રોડ, વૈષ્ણવદેવી સર્કલ અને રામદેવનગર છે. ડ્રગ્સ એનાલાઇઝર કીટ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. FSLના અધિકારી પણ સાથે છે. કોઈએ નશો કર્યો હોય અને કીટમાં સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:41 pm

ચોરીનું બાઇક ઝડપાયું:સતલાસણા પોલીસે બાઇક ચોર ગેંગના એક સાગરીતને દબોચ્યો, અન્ય બે શખસોની શોધખોળ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં મહેસાણા LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે નવાવાસ સરતાનપુર હાઇવે અને ટીમ્બા ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ યુવકને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક તપાસમાં આ બાઇક ચોરીનું હોવાનું ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના બાઇક સાથે શખસ પસાર થવાની બાતમી મળી હતીમહેસાણા LCB સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક શખસ ચોરીના બાઇક સાથે પસાર થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી સિધ્ધરાજસિંહ મદનસિંહ કલ્યાણસિંહ ઝાલા (ઉ.વ. 29, રહે. બોરીયા બેચરાજી, તા. તલોદ) નામના યુવકને પકડ્યો હતો. તેની પાસે રહેલા હીરો કંપનીના 'HF ડીલક્ષ' મોટરસાયકલ પર નંબર પ્લેટ ન હોવાથી પોલીસે કાગળોની માંગણી કરી હતી. યુવક સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. મિત્રએ ચોરી કરેલું બાઇક વેચવા આપ્યું હતુંપોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ બાઇક તેના મિત્ર હંસરાજસિંહ ભરતસિંહ ચૌહાણ (રહે. ભાલુસણા, તા. સતલાસણા) એ એકાદ વર્ષ પહેલા ચોરી કરીને તેને વેચવા માટે આપ્યું હતું. ત્યારબાદ સિધ્ધરાજસિંહે આ બાઇક તેના અન્ય એક મિત્ર સુરજસિંહ ચંપકસિંહ ઝાલા (રહે. સોનેસર, તા. તલોદ) ને રૂ. 9000માં વેચી દીધું હતું. સતલાસણા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઇક અંગે અગાઉથી જ ચોરીની ફરિયાદ નોંધાયેલી છે. સિધ્ધરાજસિંહની ધરપકડ પોલીસે હાલમાં સિધ્ધરાજસિંહની ધરપકડ કરી છે, જ્યારે બાઇક ચોરીમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હંસરાજસિંહ ચૌહાણ અને સુરજસિંહ ઝાલાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:30 pm

ખટોદરામાં રસ્તા પર 'બાંગ્લાદેશ મુર્દાબાદ'ના બેનરો સાથે ઉગ્ર દેખાવો:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાના વિરોધમાં રોષ, કહ્યું- હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી

બાંગ્લાદેશમાં હાલમાં પ્રવર્તી રહેલી અરાજકતા અને હિંસાની જ્વાળાઓ હવે ભારત સુધી પહોંચી છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની કરવામાં આવેલી નિર્મમ હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં પણ આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તા પર ઉતરીને અને બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુરતના રસ્તાઓ પર 'બાંગ્લાદેશ મુર્દાબાદ'ના નારાસુરતના અનેક વિસ્તારોમાં બાંગ્લાદેશ મુર્દાબાદ લખેલા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આંતરિક વિરોધ પ્રદર્શિત કરતા આ બેનરો દ્વારા નાગરિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને હિન્દુ સમર્થક સંગઠનોએ એકઠા થઈને દીપુ ચંદ્રદાસની હત્યાને વખોડી કાઢી છે અને માંગ કરી છે કે આ પ્રકારના અત્યાચારો હવે સહન કરવામાં નહીં આવે. ‘હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી’વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક નાગરિક સુરેશભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વિરોધ આપણો એટલે છે કે આજે દુનિયાના ઘણા ભાગોમાં હિન્દુ સુરક્ષિત નથી. જ્યાં પણ હિન્દુઓને સુરક્ષા નથી મળી રહી, તેની સામે આ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન, આવા વિધર્મી દેશોમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે જ અમે આ પોસ્ટરો લગાવીને વિરોધ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક હિન્દુ સુરક્ષિત રહે. વડાપ્રધાન મોદીને કડક પગલાં લેવા વિનંતીપુરુષોત્તમ શર્મા નામના અન્ય એક નાગરિકે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી અને આગ્રહ કરું છું કે બાંગ્લાદેશની સરકાર પાસે આ બાબતે યોગ્ય જવાબ માંગવામાં આવે. દીપુ દાસની જે રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, તે માફીને પાત્ર નથી. ભારત સરકારે આ બાબતે તાત્કાલિક અને સખત પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ દેશમાં હિન્દુઓ પર આવા અત્યાચાર કરવાની કોઈ હિંમત ન કરે. સરકાર પાસે 'ક્વિક એક્શન'ની માગયુવાઓ અને હિન્દુ સંગઠનોમાં પ્રવર્તી રહેલા રોષને જોતા સુરતમાં પોલીસ બંદોબસ્ત પણ સતર્ક કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોની મુખ્ય માગ છે કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે અને બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. સોશિયલ મીડિયા પર પણ દીપુ ચંદ્રદાસની હત્યાના વિરોધમાં અનેક કેમ્પેઈન શરૂ થયા છે, જે સુરતના નાગરિકોના આક્રોશને પ્રતિબિંબિત કરે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:23 pm

મંત્રી પ્રવીણ માળી બનાસકાંઠામાં સંવાદ કાર્યક્રમ યોજશે:જિલ્લાવાસીઓને પોતાની રજૂઆત માટે ગાંધીનગર નહીં જવું પડે, સમય-ખર્ચ બચશે

મંત્રી પ્રવીણ માળી બનાસકાંઠા જિલ્લામાં દર મહિને પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સંવાદ કાર્યક્રમ યોજશે. આ પહેલનો મુખ્ય હેતુ જિલ્લાવાસીઓને પોતાની રજૂઆત માટે ગાંધીનગર સુધી લાંબી મુસાફરી ન કરવી પડે અને તેમનો સમય તથા ખર્ચ બચે તે છે. અગાઉ પણ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મંત્રી પ્રવીણ માળી દ્વારા આવા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું. મંત્રીના જણાવ્યા અનુસાર, જનતાની સુવિધા માટે આગામી સમયમાં પાલનપુર ઉપરાંત ડીસા ખાતે પણ સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સરકારની પહોંચ વધુમાં વધુ લોકો સુધી સુનિશ્ચિત થઈ શકે. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હું જે જિલ્લામાંથી આવું છું, તે બનાસકાંઠાના લોકોને ગાંધીનગર સુધી લાંબુ ન થવું પડે. કાર્યકર્તાઓ, આગેવાનો કે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ખર્ચ ન થાય તે માટે હું મહિનામાં કેટલાક દિવસ નક્કી કરું છું કે બનાસકાંઠાના લોકોના પ્રશ્નો અહીં જ ઉકેલાઈ જાય. તેમણે ઉમેર્યું કે, આ મહિનામાં બીજી વાર આવા કાર્યક્રમનું આયોજન થયું છે અને અહીં બેસીને લોકોના ઘણા પ્રશ્નો હલ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર અમે એક સંવાદની નવતર પહેલ કરી છે કે જિલ્લાના પ્રશ્નો જિલ્લામાં જ ઉકેલાઈ જાય તો ગાંધીનગર કોઈને ન આવવું પડે અને ખર્ચ પણ ન થાય. આ પહેલને કાર્યકર્તાઓ અને નાગરિકોમાં સારો ઉત્સાહ મળ્યો છે, જે તેમના ખર્ચમાં પણ બચાવ કરે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:16 pm

બનાસકાંઠા LCBએ દારૂ ભરેલી ક્રેટા ઝડપી:ધાનેરા વિસ્તારમાંથી 1595 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા LCB એ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ 8,47,587 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1595 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 3,47,587 રૂપિયા છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી GJ-38-BB-1013 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી પણ કબ્જે કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબેએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે LCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, ટીમે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કારગીલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી આ દારૂ ભરેલી ગાડી પકડી પાડવામાં આવી. પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 81, 83, 98(2), 116(2) અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 336(2)(3), 340(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:14 pm

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન:વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા, હજારો ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત આ મહોત્સવનું સમાપન 25 ડિસેમ્બરે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. આ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, યુવા ખેલાડીઓ અને નાગરિકો ઉમટી પડ્યા હતા. જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 લાખથી વધુ ખેલવીરોએ એથ્લેટિક્સ, વોલીબોલ, બાસ્કેટબોલ, સંગીત ખુરશી અને કબડ્ડી જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે રમતગમત દ્વારા શિસ્ત અને ખેલદિલી કેળવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મેયર વિનોદ ખિમસૂર્યા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલ, મુળુ બેરા, મેઘજી ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈયબેન ગડચર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા સહિતના રાજકીય મહાનુભાવો, આગેવાનો અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:01 pm

કવચ અંતર્ગત ઈન્ટર કોલેજ પોસ્ટર-મેકિંગ સ્પર્ધાનું આયોજન:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ, નવગુજરાત ટ્રસ્ટ, આશ્રમ રોડ ખાતે તારીખ 24/12/2025ના રોજ CAWACH અંતર્ગત ઈન્ટર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના સાયબર સેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિષયોમાં સાયબર જાગૃતિ, મહિલા સુરક્ષા અને ડિજિટલ સલામતીને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા. સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. આ કાર્યક્રમ માં નિણાર્યક તરીકે શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સના પ્રાધ્યાપક ડો. રિન્કી મેનન તથા નવગુજરાત કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન નાં પ્રાધ્યાપક પ્રો. પારુલ પટેલે વિજેતાઓનુ સન્માન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. રોનક રાણા, ડૉ. માર્ગી દેસાઈ અને ડો. જનક કવૈયા દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમના પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓમાં સાયબર જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:52 pm

દમણના ઐતિહાસિક ચર્ચ દેશભરમાં જાણીતા:800 વર્ષ જૂનો ઇતિહાસ અને પોર્ટુગીઝ શૈલીનું નકશીકામ, કલાકૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેના રમણીય દરિયાકિનારા સાથે સાથે પોર્ટુગીઝ કાળના ઐતિહાસિક સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. દમણના સદીઓ જૂના ચર્ચો આજે પણ ખ્રિસ્તી સંસ્કૃતિ અને પોર્ટુગીઝ વારસાની ઓળખ તરીકે ઉભા છે. તાજેતરમાં દમણ ચર્ચના ફાધર જોન અલ્બેડાએ દમણના સમૃદ્ધ ખ્રિસ્તી વારસા અને ચર્ચોના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપી હતી. મોટી દમણમાં ચાર મહત્વપૂર્ણ ચર્ચફાધર અલ્બેડાના જણાવ્યા મુજબ, મોટી દમણ વિસ્તારમાં ચાર મહત્વપૂર્ણ ચર્ચો આવેલા છે. તેમાં દમણના કિલ્લામાં આવેલું હોલી નેમ ચર્ચ અને રોઝરી ચેપલ, ભવ્ય સ્થાપત્ય માટે જાણીતું અવર લેડી ઓફ રેમેડીયસ ચર્ચ તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલું અવર લેડી ઓફ એન્ગ્વિશ ચર્ચનો સમાવેશ થાય છે. રેમેડીયસ ચર્ચનો ઇતિહાસ 800 વર્ષ જૂનોખાસ કરીને અવર લેડી ઓફ રેમેડીયસ ચર્ચનો ઇતિહાસ 800 વર્ષથી વધુ જૂનો છે. આ ચર્ચનું નિર્માણ ઇ.સ. 1606માં પોર્ટુગીઝ શાસન દરમિયાન થયું હતું અને તેના મુખ્ય આર્કિટેક્ટ રુઈ ડી મેલો હતા. ચર્ચમાં થયેલું પોર્ટુગીઝ શૈલીનું લાકડાનું નકશીકામ, દેવદૂતો અને સંતોની મૂર્તિઓ આજે પણ અખંડિત છે. તે સમયની ખાસ કેમિકલ પ્રક્રિયા કારણે લાકડું આજે પણ મજબૂત છે. દુર દુરથી લોકો દમણના પ્રવાસે આવે છેવલસાડ જિલ્લા સહિત દેશના અલગ અલગ રાજ્યોમાંથી સહેલાણીઓ પોર્ટુગીઝ સમયમાં નિર્માણ પામેલા ચર્ચને જોવા અને તેમની કલાકૃતિ નિહાળવા આવે છે. દમણ ખાતે આવેલા પોર્ટુગીઝ સમયથી ચાલી આવેલા ચર્ચને જાળવણી અને કલાકૃતિ નિહાળી લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. ઐતિહાસિક ચર્ચની તસવીરો જુઓ...

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:49 pm

અમરેલીની 3 કચેરીઓને બેસ્ટ, ઇમર્જિંગ, એસ્પાયરિંગ પ્રમાણપત્ર:સુશાસન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ સન્માન

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાની ત્રણ કચેરીઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને 'બેસ્ટ', જિલ્લા કલેક્ટર કચેરીને 'ઇમર્જિંગ' અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીને 'એસ્પાયરિંગ' એમ ત્રણ કેટેગરીમાં પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રમાણપત્રો અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સન્માનિત કચેરીઓને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન, 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્રમાં રાખીને વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના મંત્ર સાથે વિવિધ પ્રકલ્પો શરૂ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિવિધ પોર્ટલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની નવી નીતિઓ, રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તાલીમ કાર્યક્રમો, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરના જિલ્લાઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના અધિકારીઓને મુખ્યમંત્રીના દિશાનિર્દેશોનું પાલન ફક્ત એક દિવસ પૂરતું નહીં, પરંતુ દૈનિક કાર્યપદ્ધતિનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોના કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થાય તેવી કાર્યપદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આંકડા અધિકારી ગોહિલ, તેમજ આરોગ્ય, પંચાયત, માર્ગ અને મકાન સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:46 pm

ગાંધીનગર પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન:તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું

ગાંધીનગર પ્રજાપતિ સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સમાજના સભ્યોને એકબીજા સાથે જોડાવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો હતો. સમાજના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિએ સમાજના તમામ સભ્યોને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરમાં રહેતી કશ્વીવિજયભાઈ પ્રજાપતિએ ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:45 pm

સુરેન્દ્રનગરના 1.10 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો મળે છે:મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ શારીરિક વિકાસને વેગ

ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સુરેન્દ્રનગર જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં છે. આ યોજના અંતર્ગત જિલ્લાની પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓના અંદાજે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓને દૈનિક ધોરણે પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત 11 ડિસેમ્બર, 2024ના રોજ સમગ્ર રાજ્યમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને વેગ આપવાનો છે, જેથી તેઓ કુપોષણ મુક્ત રહી શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલ્પાહારનું વિતરણ સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે શિક્ષણ વિભાગ, શાળા સંચાલન સમિતિઓ (SMC) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ પહેલ મધ્યાહ્ન ભોજન યોજનાના પૂરક તરીકે કાર્ય કરે છે. આ યોજના અંતર્ગત બાળકોને દરરોજ મેનૂ મુજબ વૈવિધ્યસભર અને તાજો નાસ્તો પીરસવામાં આવે છે. જેમાં મુખ્યત્વે પ્રોટીનથી ભરપૂર ચણા, મિક્સ કઠોળ અને ચણા ચાટ જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. ખાસ કરીને, સીંગદાણાવાળી સુખડી બાળકોમાં અત્યંત લોકપ્રિય બની છે, જે તેમને જરૂરી કેલરી અને વિટામિન્સ પૂરા પાડી સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવવામાં મદદ કરે છે. શાળાઓમાં સવારના સમયે પૌષ્ટિક નાસ્તો મળવાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્યક્ષમતામાં વધારો જોવા મળ્યો છે. પૌષ્ટિક આહારને કારણે બાળકોમાં એકાગ્રતા વધી છે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ યોજનાના પરિણામે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં વધારો થયો છે અને ભણતર પ્રત્યેની રુચિ પણ વધી છે, જે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક તથા મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. થાનગઢની શ્રી ઉચ્ચ પ્રાથમિક શાળા નં. 16માં ધોરણ-7માં અભ્યાસ કરતી પ્રિયંકા વાઘેલા જણાવે છે કે, શાળામાં દરરોજ મેનૂ મુજબ મળતો નાસ્તો અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજું હોય છે. સવારના સમયે પૌષ્ટિક અલ્પાહાર મળવાથી અમને શારીરિક શક્તિ મળે છે અને ભણવામાં વધુ મન લાગે છે. ખાસ કરીને સીંગદાણાવાળી સુખડી અમને ખૂબ જ ભાવે છે. તદુપરાંત, શ્રી ભાથરિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની મેણિયા દક્ષાએ પણ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, શાળામાં અપાતા ચણા ચાટ, મિક્સ કઠોળનો નાસ્તો મને બહુ ભાવે છે. હું નિયમિતપણે શાળામાં અપાતા નાસ્તાનો લાભ લઈ રહી છું. વિદ્યાર્થીઓના ચહેરા પરની ખુશી સરકારના મક્કમ નિર્ધારની સફળતાની સાક્ષી પૂરે છે. પ્રિયંકા વાઘેલા તથા મેણિયા દક્ષા જેવા હજારો વિદ્યાર્થીઓ રોજ શાળામાં મળતા પૌષ્ટિક અલ્પાહારનો આસ્વાદ માણી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત સરકાર રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણને કેન્દ્રમાં રાખીને સતત નવીન અને લોકહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. શાળા શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, માળખાગત સુવિધાઓનો વિકાસ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન તેમજ કુપોષણ મુક્ત ગુજરાતના લક્ષ્યાંક સાથે સરકાર સતત આગળ વધી રહી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના તે દિશામાં એક સમયોચિત અને દૃઢ પગલું છે. સુશાસન દિવસની ઉજવણી અન્વયે રાજ્ય સરકારની આ યોજના સુશાસન, સંવેદનશીલતા અને સર્વાંગી વિકાસના મૂળ સિદ્ધાંતોને સાકાર કરતી પહેલ તરીકે સામે આવી છે. શાળા શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે 'કુપોષણ મુક્ત ગુજરાત'ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ એક મક્કમ પગલું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણના સમન્વયથી રાજ્યના બાળકોને સ્વસ્થ બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાની દિશામાં ગુજરાત સરકારનો આ પ્રયાસ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:40 pm

કતારગામ ઓડિટોરિયમ અને બાયો-ડાયવર્સિટી પાર્ક હવે ‘અટલજી’ નામે ઓળખાશે:સી.આર. પાટીલે કહ્યું, નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું

સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી નિમિત્તે ઐતિહાસિક કિલ્લા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અટલજીના જીવન તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી ભાવપૂર્વક અંજલિ અર્પી હતી. હવે કતારગામ ઓડિટોરિયમ અને બાયો-ડાયવર્સિટી પાર્ક હવે ‘અટલજી’ નામે ઓળખાશે. સી.આર. પાટીલે કહ્યું, નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું. કતારગામ ઓડિટોરિયમ અને બાયો-ડાયવર્સિટી પાર્કનું નામ બદલાયુંઆ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અટલજીની જીવનયાત્રાનું વિગતવાર વિવરણ કરવામાં આવ્યું હતું.આ અવસરે સી.આર. પાટીલે સુરત મહાનગરપાલિકાના મહત્વના નિર્ણયોને આવકાર્યા હતા. સુરત પાલિકા દ્વારા કતારગામ ઓડિટોરિયમ અને શહેરના બાયો-ડાયવર્સિટી પાર્કને 'અટલ બિહારી વાજપેયી'નું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાટીલે જણાવ્યું હતું કે, આવા મહાન પુરુષોના નામ ઈમારતો અને સ્થળો સાથે જોડવાથી આવનારી પેઢીને સતત પ્રેરણા મળતી રહેશે. અટલજી પોતાના કાર્યો, સ્વભાવ અને વાણીના કારણે લોકોના મનમાં હંમેશા અમર રહેશે. નિર્વિવાદ વ્યક્તિત્વ અટલજીના પથ પર ચાલવા અમે કટિબદ્ધસી.આર. પાટીલે અટલ વાજપેયીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી એક એવું નિર્વિવાદ વ્યક્તિત્વ હતું જેમના સમર્થકો દરેક રાજકીય પક્ષમાં જોવા મળતા હતા. તેઓ માત્ર એક કુશળ રાજનેતા જ નહીં, પરંતુ એક સ્પષ્ટવક્તા, પ્રખર કવિ અને સંઘના સમર્પિત પ્રચારક પણ હતા. પાટીલે ઉમેર્યું કે અટલજી હંમેશા દેશહિતને સર્વોપરી રાખીને શુદ્ધ રાજકારણ કરતા હતા અને ક્યારેય કોઈનું અહિત ઈચ્છતા નહોતા. તેમની અદભૂત વાકછટા, ચતુરાઈ અને શબ્દોના અખૂટ ભંડારને કારણે તેઓ આજે પણ કરોડો લોકોના હૃદયમાં જીવંત છે. તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતુંઐતિહાસિક પ્રસંગોને યાદ કરતા સી.આર. પાટીલે જણાવ્યું કે અટલજીની વિશ્વસનીયતા એટલી હતી કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે વિરોધ પક્ષના નેતા હોવા છતાં અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું, જે જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી હતી. કારગિલ યુદ્ધ સમયે દુશ્મનોને પછાડવાનો મક્કમ નિર્ણય હોય કે પછી વૈશ્વિક દબાણ છતાં દેશને અણુશક્તિ પ્રદાન કરવાનો નિર્ધાર, અટલજીએ ક્યારેય હાર સ્વીકારી નહોતી. અમેરિકા સહિતના દેશોના પ્રતિબંધો છતાં તેમણે દેશની સુરક્ષા માટે ત્રણ વખત અણુ પરીક્ષણ કરીને ભારતની તાકાત દુનિયાને બતાવી હતી. વિવિધ કાર્યક્રમો દ્વારા અટલજીને યાદ કરાયાઅંતમાં, સી.આર. પાટીલે ભાજપના કાર્યકર્તાઓ વતી સંકલ્પ લેતા કહ્યું હતું કે, અટલજીએ ચીંધેલા સેવા અને રાષ્ટ્રહિતના માર્ગ પર આગળ વધવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદો અને કાર્યકર્તાઓ વિવિધ કાર્યક્રમો દ્વારા અટલજીને યાદ કરી રહ્યા છે. સુરતમાં પણ અટલજીના જીવન પર આધારિત ફોટો પ્રદર્શનના માધ્યમથી તેમની સ્મૃતિઓને તાજી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:39 pm

શૈશવ સંસ્થાનો બાલસેના વાર્ષિકોત્સવ યોજાયો:450 બાળકોએ 'વિવિધતામાં એકતા' થીમ પર પ્રદર્શન કર્યું

શૈશવ સંસ્થા દ્વારા ભાવનગર શહેરની અનંતવડીયા હાઈસ્કૂલ, શાસ્ત્રીનગર ખાતે બાલસેનાનો 23મો વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં 450થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ વર્ષે વાર્ષિકોત્સવ 'વિવિધતામાં એકતા' થીમ પર આધારિત હતો. શૈશવ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને ડાયરેક્ટર પારૂલબેન શેઠે જણાવ્યું હતું કે, બાલસેનાનો 23મો વાર્ષિકોત્સવ દર વર્ષની જેમ વિશેષ 'નૂતન થીમ' સાથે ઉજવવામાં આવ્યો. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આપણા દેશની વિવિધ સંસ્કૃતિઓ વિશે સમજાવવાનો છે. 'વિવિધતામાં એકતા' થીમ હેઠળ, બાળકોએ ભારતના વિવિધ રાજ્યોની આગવી ઓળખ, જેમ કે તેમની ભાષા, પહેરવેશ, ખોરાક, જોવાલાયક સ્થળો અને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોને દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવામાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:39 pm

ચાવડાપુરા-જીટોડીયા દેવાલયમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી:ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈસુને યજ્ઞ અર્પણ, પ્રસાદ વિતરણ કરાયું

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા-જીટોડીયા ખાતે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈસુને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે, ધર્મગુરુઓએ વિશેષ પ્રાર્થના કરી હતી અને ખ્રિસ્ત પ્રસાદનું વિતરણ કર્યું હતું. પ્રાર્થના બાદ ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આજના ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ફાધર આરોકે જણાવ્યું હતું કે, પ્રભુ ઈસુ સત્યનો માર્ગ બતાવવા અને માનવજાતને અંધકારમાંથી બહાર લાવવા આ ધરતી પર અવતર્યા હતા. તેમણે માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા અને પાપીઓનો ઉદ્ધાર કરવા જન્મ લીધો હતો. ફાધર આરોકે વધુમાં કહ્યું કે, પ્રભુ ઈસુ જીવન, આનંદ, આશા, શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવે છે. ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા, શુભ સંદેશ સંભળાવવા અને પ્રેમ, શાંતિ, આનંદ, ન્યાય જેવા મૂલ્યોનો અનુભવ કરાવવા તેમજ શેતાનના કાર્યોને નષ્ટ કરવા માટે તેમનો જન્મ થયો હતો. તેમણે માનવજાતને ક્ષમા, દયા, કરુણા, આશા અને પ્રેમનો અનુભવ કરાવ્યો છે. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે, નાતાલ એ પ્રભુ ઈસુના જન્મનું પર્વ છે. ખ્રિસ્તી સમાજ દર વર્ષે 25મી ડિસેમ્બરે આ પર્વને પૂરા ઉત્સાહ અને આનંદથી ઉજવે છે. પ્રભુ ઈસુ શાંતિ, પ્રેમ અને ક્ષમાનો સંદેશ લઈને આવ્યા હતા, જે સંદેશ લોકો સુધી પહોંચે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. ફાધર જગદીશ મેકવાને પ્રભુ સર્વને સારી તંદુરસ્તી આપે, હંમેશા સાચવી રાખે અને દુનિયામાં જ્યાં ઉચ્ચાટ અને સંકોચ છે ત્યાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ગરીબ, તરછોડાયેલા અને અત્યાચારનો ભોગ બનેલા તમામને પ્રભુ શાંતિ અને કૃપાથી ભરી દે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ફાધર એન્થોની પિચાઈ, ફાધર પ્રમોદ, ફાધર વિજય, બ્રધર, સિસ્ટરો અને મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા. અંતમાં સૌએ એકબીજાને પ્રભુ ઈસુના જન્મની નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:28 pm

અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા, પોલીસ પર હુમલો:ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રક રોકતા પોલીસ કર્મી અને TRB જવાન પર વાહન ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની ફરિયાદો વધતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આવા જ એક કિસ્સામાં, ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રકને રોકવા ગયેલા પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન પર રેતી માફિયા દ્વારા વાહન ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે રેતી ચોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જ અમરેલી તાલુકા પોલીસ પર રેતી માફિયા દ્વારા હુમલાનો પ્રયાસ થયો હતો, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. અમરેલી તાલુકા પોલીસ દ્વારા વાંકીયા નજીકથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન એક ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ આવી રહ્યા હતા, ત્યારે આરોપીએ સ્વીફ્ટ કાર વડે વારંવાર ડમ્પરને આગળ અવરોધ ઉભો કર્યો હતો. રાધેશ્યામ ચોકડી પાસે આરોપીએ પોતાની સ્વીફ્ટ કાર રોકીને રેતી ભરેલા ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ જતા અટકાવ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારીએ સ્વીફ્ટ કાર ચાલકને પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનું નામ પ્રકાશ, સુરેશભાઈ રાઠોડનો દીકરો હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસને ધમકી આપી હતી કે, જો તેના વાહનો છોડવામાં નહીં આવે તો તે પોલીસ પર માર મારવાનો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાનો ખોટો કેસ કરી દેશે. આરોપી પ્રકાશે કાયદેસરની કાર્યવાહી અટકાવવાના ઇરાદે નજીક આવી પથ્થર ઉપાડી પોતાના માથા પર મારવાનું શરૂ કર્યું હતું. તેણે પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલીને કહ્યું કે, તેના પિતા ખૂબ માથાભારે છે અને તેઓ પાછળ આવે જ છે, જે બધાને મારી નાખશે. આવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તે ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ તે સમયે આરોપી સુરેશ વિરાભાઈ રાઠોડ આવ્યા જે પોલીસ સ્ટેશન ચોપડે હિસ્ટ્રીશીટર છે. તેણે પોલીસને બે ફામ અપશબ્દો કહી આજે તો તમે મારા વાહનો લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છો, પરંતુ તમને તમામને ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખવાના છે. આટલું કહી બંને ડમ્પરોના ડ્રાયવરોને પોતાની ગાડીમાં લઇ ભાગી ગયા હતા. આ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી જોકે, આરોપીએ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાનને ઘૂંટણના ભાગે ઈજા કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી અજિતદાન ઈશ્વરદાન ગઢવીએ આરોપી સુરેશભાઈ વીરાભાઈ રાઠોડ,પ્રકાશભાઈ સુરેશભાઈ રાઠોડ બને રેહવાસી કેરાળા ગામના સામે હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધવામાં આવી છે.રેતી માફિયાઓ સામે પોલીસએ કડક કાર્યવાહી શરૂ કરતાં ખનીજ માફિયાઓને પોલીસ કણાની જેમ ઘટકી રહી છે સમગ્ર ઘટનામાં પી.આઇ.ઓમદેવ સિંહ જાડેજાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રેતીચોરી સામે ઝૂંબેશ શરૂ કરી છે. અમરેલી તાલુકા અને શેત્રુંજી નદીના પટમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે છતાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરો, માઇન્સ સુપરવાઈઝર સહિત જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ શા માટે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી રાખવામાં આવી રહી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખનીજ વિભાગ કાર્યવાહી નહિ કરતા પોલીસ તંત્ર પાસે ફરિયાદો વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:25 pm

'મારું બિલ ડ્યુ થયું છે, મારું બિલ ભરી આપો':વડોદરામાં ક્રેડિટ કાર્ડ બિલ ભરપાઈના નામે ભેજાબાજે વેપારી સાથે 2.24 લાખની છેતરપિંડી કરી, સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય વેપારી રામ અશોકકુમાર ઠક્કર ક્રેડિટ કાર્ડના બિલ ભરપાઈ અને સર્વિસ ચાર્જના નામે છેતરપિંડીનો ભોગ બન્યા છે. આરોપીએ તેમની પાસેથી કુલ રૂ. 2,24,000ની રકમ પરત નહીં કરતાં તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રામ ઠક્કરની ફરિયાદ અનુસાર, તેઓ હોટલ, ફ્લાઇટ ટિકિટ બુકિંગ અને ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટનું કામ કરે છે. ગત 7 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6 વાગ્યે આરોપી જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ (રહે. ત્રીજો માળ, શિવ ચેમ્બર, સરદાર ભવન લેન, રાવપુરા, વડોદરા) ફરિયાદીની સમા-સાવલી રોડ પર આવેલી એસ-9 સ્ક્વેર કોમ્પ્લેક્સની એફએફ-42માં આવેલી ગ્લોબલ ડ્રીમ્સ કેરિયર સોલ્યુશન નામની ઓફિસે આવ્યા હતા. આરોપીએ જણાવ્યું હતું કે, તેમનું આઈડીબીઆઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ બિલ 2.24 લાખ રૂપિયા ડ્યુ થયું છે અને હાલ તેમની પાસે રોકડ નથી. તેઓએ ફરિયાદીને વિનંતી કરી કે, તેમનું બિલ ભરી આપે અને બદલામાં 3 ટકા સર્વિસ ચાર્જ અલગથી ચૂકવશે. તેમજ બિલ ભર્યા બાદ કાર્ડમાં ક્રેડિટ લિમિટ પાછી આવી જતાં ફરિયાદીને મૂળ રકમ રૂ. 2.24 લાખ પરત કરવામાં કરશે. આ સહમતિ બાદ ફરિયાદીએ પહેલાં કાર્ડ ચેક કરવા રૂ. 100નું ટેસ્ટ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. કાર્ડ એક્ટિવ હોવાનું જાણતાં ફરિયાદીએ પોતાની કંપનીના આઈડીએફસી બેન્ક ખાતામાંથી આરોપીના ક્રેડિટ કાર્ડમાં રૂ. 2.24 લાખ રૂપિયાનું બિલ ભરી આપ્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના ક્રેડિટ કાર્ડ દ્વારા ફરિયાદીની કંપનીના ખાતામાં ફાઈઝર્વ સ્વાઈપ મશીનથી પહેલાં 2 લાખ રૂપિયા અને પછી 24 હજાર રૂપિયા મળીને કુલ 2.24 લાખ રૂપિયા પરત કર્યા હતા. સર્વિસ ચાર્જના 6,768 રૂપિયા આરોપીએ બીજા દિવસે યુપીઆઈ દ્વારા ચૂકવ્યા હતા. થોડા દિવસ બાદ ફાઈઝર્વ કંપની તરફથી માહિતી મળી કે આઈડીબીઆઈ બેન્કના કાર્ડધારકે ટ્રાન્ઝેક્શનને સસ્પેક્ટેડ ગણાવી ફરિયાદ કરી છે, જેથી 2.24 લાખ રૂપિયાનું પેમેન્ટ 540 દિવસ સુધી રોકી દેવામાં આવ્યું છે. ફરિયાદીએ આરોપીને સંપર્ક કરતાં તેમણે અજાણ્યા હોવાનું કહ્યું હતું. પછી ફાઈઝર્વની સલાહ મુજબ ફરિયાદીએ આરોપીના કાર્ડમાં 2.24 લાખ રૂપિયા રિફંડ કરાવવા માટે એમએસએફ અને જીએસટી ચાર્જ તરીકે રૂ. 2,478 પણ ભર્યા હતા. સાત દિવસ બાદ રિફંડ થયા બાદ આરોપીએ રકમ પરત કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ રિફંડ થયા પછી આરોપીએ ફોન ઉપાડવાનું અને વોટ્સએપના જવાબ આપવાનું બંધ કરી દીધું. તેમના આપેલા સરનામે મોકલેલા માણસોને પણ તેઓ મળ્યા નહીં. આમ, ક્રેડિટ કાર્ડના બિલ ભરપાઈના નામે છેતરપિંડી કરી રૂ. 2.24 લાખ રૂપિયાની રકમ પરત ન આપનાર આરોપી જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ સામે ફરિયાદીએ સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. સમા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:21 pm

ગાંધીનગરમાં વાજપેયીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું CMના હસ્તે અનાવરણ:ચ-3 સર્કલ બન્યું ‘અટલ સર્કલ’, પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવણી

ગાંધીનગરમાં 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાજપેયીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું CMના હસ્તે અનાવરણ કરાયું અને ચ-3 સર્કલનું નામકરણ કર્યું જે ‘અટલ સર્કલ’ તરીકે ઓળખાશે. વાજપેયીની 12 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણઆ ખાસ પ્રસંગે ગાંધીનગરના ચ-3 સર્કલનું ઐતિહાસિક નામકરણ કરીને તેને ‘અટલ સર્કલ’ તરીકે ઓળખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સર્કલ પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અટલજીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. અટલ સર્કલના આધુનિક નવીનીકરણ પાછળ આશરે 1.19 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી 12 ફૂટ ઊંચી બ્રોન્ઝ ધાતુની મૂર્તિનું નિર્માણ વિશ્વપ્રસિદ્ધ શિલ્પકાર ડૉ. રામ વાનજી સુથાર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતિમા અનાવરણના આ કાર્યક્રમમાં ભાજપના શહેરના હોદ્દેદારો, કાર્યકરો અને અટલજીના અસંખ્ય સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:12 pm

ટાસ્કના બહાને કોટેશ્વરના વૃદ્ધા પાસેથી ઠગે 8 લાખ પડાવ્યા:ઘરેથી ટ્યુશન કરાવતા મહિલાને હોટલ રેટિંગ અને ગોલ્ડ ખરીદવામાં ટાસ્ક આપીને છેતરપિંડી કરી

અમદાવાદમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ગઠિયાઓએ અલગ અલગ ટાસ્કના બહાને 8 લાખ રૂપિયા પડાવ્યા છે. શરૂઆતમાં મહિલાને ટાસ્ક પૂરા કરવા બદલ નાની રકમ ખાતામાં જમા આપી હતી. વૃદ્ધાને વિશ્વાસ આવતા તેમણે ટાસ્ક પૂરા કરવા અને ટ્રેડિંગમાં ટુકડે ટુકડે 8.15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની 13 હજાર રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે બાકીના 8 લાખ ન આપી છેતરપિંડી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ ને વૃદ્ધા ફસાયાઅમદાવાદના કોટેશ્વરમાં રહેતા સંતોષ સિંઘ ઘરેથી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવે છે. 10 ડિસેમ્બરે તેમના ઈન્સ્ટાગ્રામમાં માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ હતી.જે બાદ આઈડી ઉપર સંપર્ક કરતા યુવતીએ તેમને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં હોટલના રેટિંગના રીવ્યુ આપવાનું સમજાવી ટાસ્ક આપ્યા હતા. આ ટાસ્ક પૂરા કરવા બદલ શરૂઆતમાં તેમને 180,200 રૂપિયા જેવી નાની નાની રકમ તેમના ખાતામાં જમા કરી હતી.જે બાદ બીજા ગ્રુપમાં એડ કરીને થોડા મોટા ટાસ્ક આપ્યા હતા.જેમાં તેમને 1350 અને 3900 પરત આપ્યા હતા. ટુકડે ટુકડે 8.15 લાખ ભર્યા હતાસંતોષબેનને વધુ વિશ્વાસ આવતા તેમણે હોટલ રેટિંગ અને ગોલ્ડ ખરીદીના ટાસ્ક માટે ટુકડે ટુકડે 8.15 લાખ ભર્યા હતા.જેની સામે તેમને 13000 રૂપિયા છે પરત મળ્યા હતા.જ્યારે બાકીના 8 લાખ રૂપિયા અલગ અલગ કારણસર પરત આપ્યા ન હતા જેથી તેમણે આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:51 pm