પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં વહેલી સવારે એક મહિલા પર પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. ભેંસ દોહવા ગયેલી મહિલા સાથે એક શખસે ખરાબ કામ કરવાની માંગણી કરી, વિરોધ કરતાં છરી અને ધારીયા વડે ધમકાવી કપડા ફાડી નાખ્યા હતા. પોલીસે બે આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના ફરિયાદી મહિલાના વાડામાં બની હતી. મહિલા પોતાના વાડામાં ભેંસ દોહતી હતી, ત્યારે ગામનો પ્રવિણજી ભોપાજી ઠાકોર ત્યાં આવ્યો હતો. પ્રવિણજીએ મહિલાને 'તું મારી સાથે ખરાબ કામ કર' તેવી માંગણી કરી હતી. મહિલાએ ઇનકાર કરતાં આરોપી પ્રવિણજીએ તેની પાસે રહેલી છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપી પ્રવિણજીના પિતા ભોપાજી રાયચંદજી ઠાકોર હાથમાં ધારીયું લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોપાજી ઠાકોરે પોતાના હાથમાં રહેલું ધારીયું ફરિયાદી મહિલાને સાથળના ભાગે ઊંધું માર્યું હતું. પુત્ર પ્રવિણજી ઠાકોરે મહિલા સાથે ઝપાઝપી કરી તેમના કપડા ફાડી નાખ્યા હતા. બંને આરોપીઓએ મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી મહિલાએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠાકોર પ્રવિણજી ભોપાજી અને ઠાકોર ભોપાજી રાયચંદજી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 74, 76, 115(2), 296(b), 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ (GPA)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ પોલીસે મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપ્યો:પીપરડી ગામના શખ્સ પાસેથી બે ચોરાયેલી બાઈક મળી
બોટાદ ટાઉન પોલીસે મોટરસાયકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કોમ્બિંગ નાઈટ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીનું નામ વિપુલ કનુભાઈ મેટાલીયા છે, જે બોટાદના પીપરડી ગામનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ શહેરના અલગ અલગ સ્થળોએથી બે મોટરસાયકલની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલી બંને મોટરસાયકલ જપ્ત કરી છે. હાલ પોલીસે આરોપીએ અન્ય કેટલી જગ્યાએથી મોટરસાયકલ ચોરી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લામાં દારૂના વેપલાને ખતમ કરવા જુનાગઢ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને લાખો નો દારૂ પકડવામાં સફળતા મળી છે.જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાની કડક સૂચનાથી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ કુણાલ પટેલ અને તેમના પોલીસ સ્ટાફ સાથે જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેને લઇ જિલ્લામાં નસાનો કાળો કારોબાર ફેલાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે લાખો નો દારૂ ઝડપી બે મોટી સફળ કાર્યવાહી કરી છે. વિસાવદર અને ભેંસાણ પો.સ્ટે. વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કુલ 2,796 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, મોબાઈલ ફોન, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 13,11,650/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ. કે.એમ.પટેલ અને પી.કે.ગઢવીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતા આરોપીઓ રાજુ ગોગન શામળા, ચના રાણા મોરી અને રૂત્વીક ભીમા કોડિયાતર ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે.જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શોભાવડલાથી નાનીપીંડાખાઈ ગામ તરફ જતા રસ્તે શોભાવડલા ગામની સીમમાં કટીંગ કરતી વખતે ક્રાઈમ બ્રાન્ચે કુલ નંગ 1,956 ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયર કિંમત રૂ. 5,95,680/- નો જથ્થો પકડ્યો હતો. ભેંસાણના છોડવડી ગામની લપટી ધાર સીમ વિસ્તારમાં ચંદુભાઈ સરધારાના ખેતરના મકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચે 840 નંગ ટ્યુબોર્ગ સ્ટ્રોન્ગ બિયર ટીન મળી કુલ કિંમત રૂ. કુલ નંગ.810 કિ.રૂા.1,84,800 /- મો.ફોન-1 કિ.રૂ.10,000 ,રોકડા રૂ.200,ફોર વ્હિલ કાર-1 કિ.રૂ.5,00,000 મળી કુલ મુદામાલ કિ.રૂા.6,95,000 નો ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમિયાન જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામના રાજુ ગોગનભાઇ શામળા,સુનીલ ભીમાભાઈ કોડીયાતર,કારાભાઈ નગાભાઈ સિંઘલ,ચંદુભાઇ વશરામભાઇ સરધારાને ઝડપી પાડ્યા છે. આ દારૂના ગુનામાં સંડોવાયેલ ચના રાણા મોરી,રૂત્વિક ભીમાભાઇ કોડિયાતર,લાખા પુના રબારી આને વિપુલ મૈયાભાઇ કોડિયાતર ફરાર થયા હતા જેને પકડવા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ.પટેલ, પીએસઆઇ. પી.કે.ગઢવી, એ.એસ.આઈ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સીસોદીયા, ચેતનસિંહ સોલંકી, ગવરાજસિંહ અહાડા પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજના નિર્માણ કાર્યને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે રાજકીય અગ્રણી માલવદીપસિંહ રાઉલજીએ સંબંધિત અધિકારીઓ સાથે વૈકલ્પિક માર્ગની સમીક્ષા કરી હતી. ગાંધીચોકથી અમૂલ પાર્લર સુધી નિર્માણાધીન બ્રિજના ગર્ડર બેસાડવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસો માટે ડાયવર્ઝન અપાયું છે. આ ડાયવર્ઝનના પરિણામે શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીની સૂચના મુજબ, તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજીએ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સતગુરુ સાયકલ પાસેથી એક કટ ખોલવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વૈકલ્પિક માર્ગ આગામી બે દિવસમાં કાર્યરત થશે. આ નવો માર્ગ શરૂ થવાથી પાંજરાપોળથી બામરોલી તરફ જતા વાહનચાલકો અંકલેશ્વર મહાદેવ રોડ અથવા જૈન સોસાયટીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આ વ્યવસ્થાથી ટ્રાફિક નિયમનમાં ઘણી સરળતા રહેશે. આ માહિતી ૧૫ નવેમ્બરની મોડી રાત્રે પ્રાપ્ત થઈ હતી.
ભાવનગર શહેરને હચમચાવી દેનારી એક ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય પરિવારના સભ્યો સુરત જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દટાયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે . ઘટનાસ્થળે પોલીસે પહોંચીને આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ........ આ સમાચાર પણ વાંચોઃજેના નામની મહેંદી મૂકી તે ‘સાજન’એ જ જીવ લીધો:પાનેતર બન્યું મોતનું કારણલગ્ન એક એવો શબ્દ કે જેને સાંભળી ખુશી, હર્ષોઉલ્લાસ અને પ્રેમની અનુભૂતિ થાય. જ્યારે બે લોકો એકબીજા જોડે સુખ દુ:ખમાં સાથે રહેવાના સપના જૂએ ત્યારે પ્રભુતાના પગલાં માંડતા હોય છે. આવી જ એક ભાવનગરની 22 વર્ષીય યુવતી સોનીએ પણ પોતાના ‘સાજન’ના સપના જોયા હતા. પણ તેને ક્યાં ખબર હતી કે તેનો સાજન તો ‘શેતાન’ નીકળશે. આજે વાત કરવી છે એવા બનાવની કે જેને ભાવેણાવાસીઓને હલાવી દીધા છે. જેમ સાગરમાં સુનામી આવે ને હિલોળા મારે તેમ આજે દરેક ભાવેણાવાસીઓના મન વિચારોના વમળમાં ફસાયેલા છે. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક 15 નવેમ્બરે વહેલી સવારે લગ્નના દિવસે જ સોની નામની યુવતીની તેના ભાવિ પતિ સાજને માથામાં પાઇપ મારી દીવાલે માથું ભટકાવી હત્યા કરી દેતા ગોહિલવાડ ગુમસુમ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
જોધપુર પાસે અકસ્માતમાં 6નાં મોત:ટેમ્પો-ટ્રક ટ્રેલર અથડાયા, 10થી વધુ ઘાયલ, બે ગંભીર
રાજસ્થાનના જોધપુર નજીક બાલેસર નેશનલ હાઈવે 125 પર ખારીબેડી પાસે આજે વહેલી સવારે મીની ટેમ્પો અને ટ્રક ટ્રેલર વચ્ચે ધુમ્મસના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના ચાર મળી કુલ છ લોકોના મોત થયા છે. આ ઉપરાંત, બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે અને દસથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં આ માહિતી આપી હતી. મૃતકોમાં પુંસરી ગામના પ્રજાપતિવાસમાં રહેતા 23 વર્ષીય પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (મીની ટેમ્પોના ચાલક) અને પુંસરી બસ સ્ટેન્ડ પાસેના 65 વર્ષીય કેશાભાઈ કોહ્યાભાઈ વાળંદનો સમાવેશ થાય છે. તેમની સાથે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના શ્રદ્ધાળુઓ પણ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. આ અકસ્માત રવિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે 125 પર બાલેસર નજીક ખારીબેડી પાસે થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મીની ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં સ્થળ પર ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બે ગંભીર ઘાયલો સહિત દસથી વધુ ઈજાગ્રસ્તોને જોધપુરની મથુરાદાસ વિસ્તારમાં આવેલી માથુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે રાજસ્થાનના બાલેસર પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચે ટેમ્પો ચાલક અને અન્ય એક મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. સવારે પુંસરીથી રામદેવરા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને આવતીકાલે સવારે મૃતદેહો ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો માટે યોજાયો હતો. આ મેળામાં આસપાસના ગામોના અનેક પશુપાલકોએ ભાગ લીધો હતો. તેનો મુખ્ય હેતુ પશુધનને વિનામૂલ્યે તબીબી સહાય પૂરી પાડવાનો અને પશુપાલકોને પશુઓની સંભાળ વિશે જાગૃત કરવાનો હતો. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. પલક વૈદએ મેળાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં વિવિધ પ્રકારના પશુઓ અને કેસની સારવાર કરવામાં આવી હતી. કીટોસિસ અને મિલ્ક ફીવર જેવા સામાન્ય કેસ ઉપરાંત એસિડ એટેક જેવા ગંભીર ઘાવના બે-ત્રણ કેસની પણ સફળ સારવાર કરાઈ હતી. અત્યાર સુધીમાં 60થી વધુ પશુઓની સારવાર કરાઈ છે. આ કેમ્પમાં પશુઓને લગતી દરેક પ્રકારની સારવાર, જેમ કે રસીકરણ, સામાન્ય બીમારીઓની સારવાર, ઈજાની સારવાર અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ પશુ આરોગ્ય કેમ્પથી સ્થાનિક પશુપાલકોને તેમના પશુઓના સ્વાસ્થ્ય જાળવવામાં ઘણી રાહત મળી હતી. આ કાર્યક્રમ દ્વારા સરકારે પશુઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને સ્થાનિક ગ્રામ્ય અર્થતંત્રને સહાય પૂરી પાડી છે. આવા પ્રયાસો દ્વારા સરકાર ગ્રામીણ કલ્યાણના કાર્યોને વેગ આપી રહી છે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાઈડ એન્ડ હેલ્થકેર સાયન્સીસ (BDIAS)ના મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ મેંગલોરમાં આયોજિત 23મી નેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કોન્ફરન્સ કસ્તુરબા મેડીકલ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ રેડિયોડાયાગ્નોસીસ એન્ડ ઇમેજિંગ દ્વારા યોજાઈ હતી. તેની થીમ ‘ADVANCING FRONTIERS : USHERING IN A NEW ERA OF MEDICAL IMAGING- IMAGINE 2025’ હતી. આ કોન્ફરન્સમાં BDIASના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીની શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર અત્રી ઠાકરે અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોફેસર શ્રીની શાહે ફેકલ્ટી પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ‘PROSTATE CANCER THROUGH PRECISION IMAGING’ વિષય પર પોસ્ટર રજૂ કર્યું હતું. તેમણે પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં મલ્ટીપેરામેટ્રિક MRI (MPMRI) અને PSMA PET/CT જેવી અદ્યતન પદ્ધતિઓ પરંપરાગત ઇમેજિંગની તુલનામાં વધુ સારી સંવેદનશીલતા અને વિશિષ્ટતા પ્રદાન કરે છે. કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના 100 વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર ડિસ્પ્લે અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. સ્ટુડન્ટસ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય વર્ષના વિદ્યાર્થી પૃથવ પટેલે ‘COMPARISON OF CT FLUROSCOPY-GUIDED VS MULTI SLICE CT BIOPSY MODE GUIDED LUNG BIOPSIES’ વિષય પર રજૂઆત કરી હતી. ગ્રુપ 1 માં શશિન ચૌહાણ, ક્રીશ ગોસ્વામી અને પ્રથમ પટેલે ‘AI-Assisted Motion Sensing One-Tap Retake Workflow for Hand-Carried Portable Chest X-ray in Rural Healthcare’ વિષય પર, ગ્રુપ 2 માં એન્જલ હીરપરા, પ્રાચી પટેલ, ઈશિતા પારેખે ‘The Role of Artificial Intelligence in Enhancing Mammographic Diagnosis of Pregnancy-Associated Breast Cancer’ વિષય પર અને ગ્રુપ 3 માં ટીયા પટેલ, બ્લેસી ક્રિશ્ચિયન, ફલક વ્હોરાએ ‘CT Based Radiomic Biomarkers for Early Chemotherapy Response in Solid Tumour’ વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. આમાંથી ગ્રુપ 1 ના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન અને BDIPSના પ્રિન્સીપાલ ડો. ધારા પટેલ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી રેડિયોગ્રાફર્સ, રેડિયોલોજિસ્ટ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અગ્રણી સંશોધકો, ક્લિનિકલ નિષ્ણાતો અને વ્યાવસાયિકોને નવીનતા લાવવા, તેમના સંશોધનો રજૂ કરવા, ચર્ચાઓમાં ભાગ લેવા, વિવિધ સેશનમાં હાજરી આપવા અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ તથા પોસ્ટર ડિસ્પ્લેમાં ભાગ લેવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. આનાથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તેમના સંશોધનો રજૂ કરવા, નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ મેળવવા અને વૈજ્ઞાનિક સમુદાયમાં યોગદાન આપવાની તક મળી હતી. આ કોન્ફરન્સે શૈક્ષણિક વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મેડિકલ ઇમેજિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ટેકનિકોનું સંશોધન કરવામાં, અદ્યતન ટેકનોલોજી સાથે રેડિયોલોજીમાં તેમનું નોલેજ વધારવામાં મદદ કરી, જે મેડિકલ ઈમેજિંગ પ્રોફેશનલ્સના વૈશ્વિક સમુદાય સાથે જોડાયેલા રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
રાજસ્થાનના જોધપુર-બાલેસર હાઈવે પર વહેલી સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પાંચ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ રણુજાના દર્શન માટે ટેમ્પો દ્વારા જઈ રહ્યા હતા. આ ઘટના જોધપુર-બાલેસર હાઈવે પર બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા ટેમ્પો અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ટેમ્પો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ત્રણ અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલ થયેલા 12થી વધુ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જોધપુર નજીકની બાલેસર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ત્રણ લોકોના મોત થવાને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અકસ્માત બાદ અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિક નેતાઓ રાજસ્થાનના તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બચાવ અને સારવાર કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમાંથી ચારના નામ સામે આવ્યા છે: 1. પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (પુંસરી, સાબરકાંઠા) 2. અર્જુનસિંહ લાલસિંહ સોલંકી (પુંસરી, સાબરકાંઠા) 3. નવ્યા કાળુસિંહ પરમાર (રૂઘનાથપુરા, ધનસુરા) 4. સોનલબેન કાળુસિંહ પરમાર (રૂઘનાથપુરા, ધનસુરા)
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ઠંડી વધતા સવારમાં સ્વેટર, જાકેટ અને મફલર પહેરીને નોકરી-ધંધે જતા લોકો જોવા મળ્યા હતા. શહેરમાં ઠંડીની અસર વચ્ચે પારનેરા ડુંગર સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા. સવારના સમયે મોર્નિંગ વોક અને કસરત માટે નીકળતા નાગરિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઠંડી વધતા જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળ રાખવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ તાપમાનની સ્થિતિ નીચે મુજબ છે: વલસાડ: મહત્તમ 29C, લઘુત્તમ 19C; ધરમપુર: મહત્તમ 30C, લઘુત્તમ 17C; વાપી: મહત્તમ 29C, લઘુત્તમ 19C; કપરાડા: મહત્તમ 28C, લઘુત્તમ 15C; ઉમરગામ: મહત્તમ 29C, લઘુત્તમ 18C.
ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ સરળતાથી મળશે:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલ માટે તાકીદની સૂચનાઓ અપાઈ
રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં રૂ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ ખેડૂતને કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી અને ઝડપથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયનો ઉદ્દેશ્ય રાજ્યના ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે. આ પેકેજ દ્વારા ખેડૂતોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આ કૃષિ સહાય પેકેજના સુચારુ, પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદની સૂચનાઓ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં રાજ્ય સરકાર ખેડૂતોના પડખે ઊભી રહીને આટલો મોટો નિર્ણય લઈ રહી છે, ત્યાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખેડૂતોને સંપૂર્ણ મદદરૂપ થવા કટિબદ્ધ છે. અંકિત પન્નુએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોને આર્થિક ટેકો અને સરળતાથી સહાય મળી રહે તેમજ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. જિલ્લા વહીવટી તંત્ર આ ખેડૂતલક્ષી પેકેજના સમયસર અને અસરકારક અમલ માટે સંપૂર્ણપણે સજ્જ છે.
સુરત શહેરનાં રસ્તાઓ પર બેફામ દોડતી મહાનગરપાલિકાની ગાર્બેજ કલેકશનની ગાડીઓનાં અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. નિર્દોષ વાહનચાલકોને અડફેટે લેતાં અકસ્માતનાં કિસ્સાઓ વચ્ચે અમરોલી વિસ્તારમાં કચરાની ગાડીનો ડિવાઈડર સાથે અકસ્માત થયો હતો. ચાલક ગાડીમાં ફસાઈ જતાં ફાયર વિભાગનાં જવાનોએ ભારે જહેમત બાદ ચાલકનું રેસક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. ડમ્પરની કેબિનનો ભાગ દબાઈ જતા ડ્રાઇવરનો પગ સ્ટીયરિંગની નીચે ફસાઈ ગયોમળતી માહિતી પ્રમાણે, ખજોદથી કચરાનું ડમ્પર લઇને અનીલ રાયસંગ દામોર (ઉ. વ. 25) અમરોલીના કોસાડ રોડ શ્રીરામ ચોકડી પાસે કચરાના ડેપો ખાતે કચરો ભરવા જવા નીકળ્યો હતો. તે સમયે અમરોલીના ક્રોસ રોડ પર ડમ્પર રોડના ડિવાઇર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેથી ડમ્પરની કેબિનનો ભાગ દબાઈ જવાના લીધે ડ્રાઇવર અનીલનો પગ સ્ટીયરિંગની નીચેના ભાગે ફસાઈ જતા બહાર આવી શક્યો નહી. ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયોકોલ મળતા ફાયર લાશ્કરોએ પહોંચીને ભારે જહેમત કરી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. જોકે તેને ઇજા થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે પ્રતાપનગર સ્ટેશનમાં યાર્ડ રિમોડેલિંગ અને નૉન ઈન્ટરલૉકિંગનું કામ 14 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ રીતે પ્રતાપનગરથી આવનારા દિવસોમાં લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોને શરૂ કરી શકાશે, જે ટ્રેન સંચાલન સહિત યાત્રી સુવિધામાં મહત્વનું હશે. સ્ટેશનના આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026માં પૂર્ણ થશેપ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વડોદરા મંડળના ગતિ શક્તિ યૂનિટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતાપનગર સ્ટેશન વિશ્વામિત્રી-ડભોઈ-એકતાનગર અને ડભોઈ-અલીરાજપુર સેક્શન પર આવેલ એક એનએસજી-6 સ્ટેશન છે. પ્રતાપનગરને વડોદરાના એક સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વર્ષ 2022-23માં કુલ 28.93 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનના અપગ્રેડેશન-આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. કેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે?
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર મુસાફરોના સ્ક્રિનિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી ફુટેલી કારતુસ મળી આવતા પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. મુસાફરે તેને કોઈ જગ્યાથી આ ફૂટેલી કારતૂસ મળી હોય અને ભૂલથી તેની પાસે રહી ગઈ હોવાનું જણાવ્યું છે. જેથી હરણી પોલીસે હાલમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ ઉપરથી તાજેતરમાં જ એક વિદેશી મુસાફરના બેગમાંથી કારતુસના ખાલી ખોખા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ સહિતની એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને આ વિદેશી આરોપીને ખાલી કારતૂસ ક્યાંથી આવ્યા ક્યાંથી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. ત્યારે ફરીવાર હરણી એરપોર્ટ પર તારીખ 15 નવેમ્બરના રોજ વહેલી સવારે વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરોના સામાનનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક મુસાફરના સામાનનું સ્ક્રીનિંગ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાતા ટ્રોલી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય આવી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીના સુરક્ષા કર્મચારીઓ એક્શનમા આવી ગયા હતા અને મુસાફરના બેગની ચકાસણી કરાઈ હતી. બેગમાંથી એક ફૂટેલી કારતૂસ મળી આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘટના અંગે તાત્કાલિક જ હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મુસાફરને તેની પાસે આ ખાલી કારતૂસ ક્યાંથી આવ્યું તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આ મામલે મુસાફર પવનકુમાર હનુમાનથાપા એસ એચ (ઉંમર વર્ષ 45) ની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ મૂળ મૈસૂર કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેઓ ગત 12 નવેમ્બરના રોજ ઈસ્તમ્બુલ તુર્કી દેશ ખાતેથી મુંબઈ એરપોર્ટ આવેલા અને ગત તારીખ 13 નવેમ્બરના રોજ મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી અને ત્યારબાદ તેઓ મકરપુરા જીઆઇડીસી ખાતે ઓફિસના કામથી આવેલા હતા. બાદમાં તેઓ કામ પતાવી હોટેલ હયાત વાસણા ભાયલી રોડ ખાતે બે દિવસ રોકાયા હતા. બાદમાં ગઈકાલે સવારે મૈસૂર પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા, તે દરમિયાન વડોદરા એરપોર્ટ પરથી મુંબઈ જતા પહેલા જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરતા બેગમાંથી ફૂટેલી ખાલી કારતુસ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે. આ કારતૂસ તેઓ તુર્કીથી મળી હોવાનું જણાવ્યું છે અને તે ભૂલથી બેગમાં રહી જોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે રાજ્ય સરકાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 8 અને 9 જાન્યુઆરી, 2026એ રાજકોટમાં કરવામાં આવ્યું છે. મહેસાણામાં પ્રથમ રિજનલ કોન્ફરન્સને મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ આ બીજી કોન્ફરન્સ પ્રદેશના વિકાસ, રોકાણ, લોજિસ્ટિક્સ અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. રાજકોટમાં યોજાનારી VGRC પહેલાં ડિસેમ્બર, 2025 દરમિયાન કચ્છ, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા મળી કુલ 11 જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો થશે. આ ઇવેન્ટ્સમાં લોકલ તકો, MSMEs અને સ્ટાર્ટઅપ્સના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિથી પ્રવાસન સુધી: મુખ્ય ક્ષેત્રો પર સેમિનારરાજકોટમાં બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન કૃષિ, ખાણકામ, પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ, પોર્ટ્સ–લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, માછીમારી, સિરામિક્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો પર વિશેષ સત્રો યોજાશે. MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર–સેલર મીટ (RBSM) તેમજ અનેક ટ્રેડ ફેરનું પણ આયોજન થશે, જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નેટવર્કિંગ અને ભાગીદારીની તક મળશે. કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્ર તેના બંદરો, ખનિજ સંસાધનો, પ્રવાસન, સિરામિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને કારણે વૈશ્વિક સ્તરે ઝડપથી ઊભરતું રોકાણ કેન્દ્ર બન્યું છે. કોન્ફરન્સ આ ક્ષેત્રની નવી ક્ષમતાને વધુ ગતિ આપશે. મહેસાણા VGRCમાં 1,264 MoU, ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણમહેસાણામાં યોજાયેલી પ્રથમ VGRC દરમિયાન 3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU થયા હતા. બે દિવસમાં 29 હજારથી વધુ ઉપસ્થિતિ સાથે 80 દેશોના 440 પ્રતિનિધિઓ જોડાયા હતા. 160થી વધુ B2B અને 100થી વધુ B2G મિટિંગ્સ દ્વારા મોટા પાયે રોકાણ તકો ઊભી થઈ હતી. સ્ટાર્ટઅપ્સમાં ઉછાળો: ભારતનેક્સ્ટ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાતમહેસાણા ઇવેન્ટમાં 410થી વધુ પ્રદર્શકો, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સ સામેલ હતા, તેમણે ઇનોવેશન રજૂ કર્યું હતું. ઉદ્યમી મેળામાં 9,000 ઉદ્યોગસાહસિકોને ₹.900 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ હતી, જ્યારે RBSM દરમિયાન 850 સેલર્સ સાથે થયેલી બેઠકોમાંથી ₹500 કરોડથી વધુની નિકાસ ઇન્કવાયરી મળી હતી. રાજકોટમાં યોજાનારી બીજી VGRC કચ્છ–સૌરાષ્ટ્રને વિકાસ અને રોકાણના નવા યુગમાં આગળ ધપાવશે તેવી રાજ્ય સરકારને આશા છે.
જુદી જુદી 43 શાળાના 1103થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ મીટમાં 1103થી વધુ રમતવીરો ભાગ લીધો શહેરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુમિટોમો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની જુદી જુદી 43 શાળાના 1103 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ ભાવનગર દ્રારા આજરોજ રવિવારના રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સીદસર ભાવનગર ખાતે સુમીટોમો એથ્લેટીકસ મીટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, એથ્લેટીકસ મીટમાં જુદી જુદી 6 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા 100 મીટર દોડ, 200 મીટર દોડ, રીલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્ક થ્રો, જેવી સ્પર્ધાનું આયોજનમાં જુદી-જુદી 43 શાળાના કુલ 1103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓમાં અંતે પૂર્ણ થઈ ત્યારે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ અંગે સુમિટોમો કેમિકલ લી.ના વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી સુમિટોમો એથ્લેટીક્સ મીટનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષથી જુદી જુદી 43 શાળાઓના 1100 થી વધુ બાળકો એ ભાગ લીધો છે, આ મીટ નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એથ્લેટીકસ રમત માટેનો અભિગમ ખીલે તથા તેને ભવિષ્યમાં સરકારી નોકરી જેમાં શારિરીક પરિક્ષા લેવાય છે જેમાં રાજયકક્ષા અને દેશ કક્ષાએ નેશનલ કોમ્પિટિશન ભાગ લઈ આગળ વધે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ કરવા માટે લાલજીભાઈ કોરડીયા, અમુલભાઈ પરમાર અને પી.ટી. શિક્ષકોની ટીમ અને H.R ટીમ દ્રારા ખુબજ જહેમત ઉઠાવી હતી, તેમજ દરેક શાળાએ સહયોગ આપ્યા હતો.
ગીર જંગલની નજીક આવેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામમાં ગત (16 નવેમ્બર) રાત્રે એક અદ્ભુત અને અનોખી ઘટના જોવા મળી હતી. એકસાથે 11 સિંહના પરિવારે ગામની સીમમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રિના સમયે ગામમાં લટાર મારતા આ દૃશ્યો ગામના CCTV કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગીર ગઢડા તાલુકામાં છેલ્લા બે દિવસમાં સિંહોની અસામાન્ય અને મોટી હાજરી જોવા મળી છે. બે અલગ-અલગ ઘટનાઓમાં એકસાથે 11 સિંહના પરિવારોએ માનવ વસાહતની નજીક લટાર મારી હતી, જેના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેને લઇ ગ્રામજનોમાં આશ્ચર્ય, ઉત્સુકતા અને ભયનો માહોલ છવાયો છે. ઉમેદપરામાં 11 સિંહની શાહી લટારગીર ગઢડાના ઉમેદપરા ગામે ગત રાત્રે એકસાથે 11 સિંહના પરિવારે પ્રવેશ કર્યો હતો. ગીર જંગલની સરહદે આવેલા આ ગામના રસ્તાઓ, ઘરના ઓટલાઓ અને ગલીઓમાંથી સિંહોનું આ મોટું જૂથ નિર્ભયપણે પસાર થતું જોવા મળ્યું હતું. આ દૃશ્યો ગામના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા હતા. સામાન્ય રીતે સિંહોના આગમનથી ગ્રામજનોમાં ઉત્સુકતા રહેતી હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોનું જૂથ જોઈને ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ રાત્રે બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી હતી. સિંહો જંગલ તરફ પાછા ફર્યા બાદ ગામમાં શાંતિ છવાઈ હતી. બે દિવસ પહેલાં પણ 11 સિંહોનું જૂથ જોવા મળ્યું હતુંઆ પહેલાં, ગત 13 નવેમ્બરની રાત્રે પણ ગીર ગઢડા શહેરમાં 11 સિંહનું એક આખું જૂથ જોવા મળ્યું હતું. શહેરના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહનું ટોળું બિનધાસ્તપણે લટાર મારી રહ્યું હતું. આ રોમાંચક દૃશ્યો સ્થાનિક સિંહપ્રેમીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. (ગીર ગઢડામાં 'સિંહરાજ') સિંહો માટે 'હોટસ્પોટ' બન્યા શહેરી વિસ્તારોછેલ્લા બે દિવસમાં ગીર ગઢડાના પ્રમુખ પાર્ક અને ઉમેદપરા રોડ જેવા અલગ-અલગ સોસાયટી વિસ્તારોમાં પણ સિંહોની અવરજવર જોવા મળી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, જંગલની અંદર શિકારની મુશ્કેલી કરતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં પશુઓનો શિકાર સરળતાથી મળી રહેતો હોવાથી સિંહો માનવ વસાહત તરફ આકર્ષાય છે. ગ્રામજનોમાં આશ્ચર્ય-ઉત્સુકતાનો માહોલવન વિભાગે આ 11 સિંહના જૂથની હાજરીની પુષ્ટિ કરી છે અને જાણ થતાં જ ટીમ ઘનશ્યામનગર વિસ્તારમાં પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સિંહો આગળ નીકળી ગયા હતા. વારંવાર રહેણાક વિસ્તારોમાં સિંહો દેખાતા હોવાથી, માનવ અને વન્યજીવ બંનેની સલામતી જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા સિંહ પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા પ્રબળ માગ ઊઠી છે. આ સમાચાર પણ વાંચો... સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યો: મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યાં અદ્ભુત દૃશ્યો ગીરની બોર્ડરે સાવજોની 'રોયલ લટાર'નાં અદભૂત દૃશ્યો: જામવાળા-ઘાંટવડ રોડ પર વરસાદી માહોલમાં મધરાતે સિંહણની જોડી નીકળી, કારચાલકે વીડિયો ઉતાર્યો કોડીનારમાં સાવજોનું માનવ વસાહતમાં ઘૂસી મારણ: આલીદર ગામમાં ઘરની ઓસરી પાસે સિંહોએ ગાયનો શિકાર કરી મિજબાની માણી, પરિવાર ઘરના પહેલા માળે જોતો રહ્યો કોડીનાર પંથકમાં સિંહ પરિવારનો આતંક:એકસાથે આઠ સિંહે બે દિવસમાં બે ગામમાં 'શાહી મિજબાની' માણી; ગ્રામજનોમાં ભયનો માહોલ સિંહ પરિવારની વરસાદી માહોલમાં 'શાહી મિજબાની':કોડીનારના સિંધાજ ગામે આઠ સિંહોએ એકસાથે મારણ પર ભોજન માણ્યું; ખોડિયાર મંદિરનો વીડિયો વાઈરલ ગીર જંગલમાં મગર અને દીપડા વચ્ચે જીવ સટોસટનો જંગ, વીડિયો:વન્યજીવ સૃષ્ટિની અત્યંત રોમાંચક અને દુર્લભ ઘટના બની, સૂર્યસ્નાન કરતા મગરને ડોકથી દબોચ્યો ગીર-ગઢડામાં 8 સિંહના પરિવારે રોડ બ્લોક કર્યો, VIDEO: મધરાતે રસ્તો જામ થતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં; પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો ઉનામાં સિંહની ડણકથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો: શિકારની શોધમાં આવેલો સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યો, રાહદારીઓ થંભ્યા; પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યાં દૃશ્યો ગીરના જંગલમાં સિંહ, સિંહણ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી: કમલેશ્વર ડેમ વિસ્તારમાં 10 સાવજના ગ્રુપમાં અન્ય ગ્રુપની સિંહણ આવતાં ઘમાસાણ, ત્રાડોથી જંગલ ગુંજી ઊઠ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજ્યા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં કોંગ્રેસ વધુ એક વખત યાત્રા યોજવા જઈ રહી છે. રાજ્યભરમાં જન આક્રોશ યોજવાની જાહેરાત કરી છે. રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ 60 દિવસ સુધી જન આક્રોશ યાત્રા યોજશે. આગામી 21 નવેમ્બરના વાવ - થરાદથી યાત્રાની શરૂઆત થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂઆત કરવામાં આવે જે 1100 કિલોમીટર સુધી ભ્રમણ કરશે. પહેલા ફેઝની યાત્રાનું બેચરાજીમાં સમાપન થશે. ખેડૂતોના મુદ્દા, યુવાનોના મુદ્દા, મહિલાઓના મુદ્દા, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગમે ગામ જાહેર સભા યોજશે. કોંગ્રેસે 11 દિવસ પહેલાં ખેડૂત આક્રોશ યાત્રા કરી હતી. જે ગીર સોમનાથથી પ્રારંભ થઈને, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરી દ્વારકામાં સમાપન થયું હતું.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવાર અને રવિવારના દિવસોમાં મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં સવારે 9થી 1 દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આ દરમિયાન વિધાનસભા 69 દક્ષિણમાં શેઠ હાઈસ્કૂલ ખાતે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી તો ત્યાં લોકો મતદાર ગણતરી ફોર્મ લેવાની સાથે તે ફોર્મ ભરીને પરત આપી રહ્યા હતા. જ્યારે BLO દ્વારા ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અહીં આવેલા મતદારે કહ્યું કે, મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ જે 23 વર્ષે થઈ તે દર 10 વર્ષે થવી જોઈએ અને તો જ સાચું મતદાન થાય. આ સાથે જ ચીફ ઇલેક્શન કમિશન હેઠળની BLO એપ્લિકેશન ધીમી ચાલતી હોવાની ફરિયાદો અમુક જગ્યાએથી સામે આવી છે. જિલ્લામાં હાલ મતદારોના ફોર્મ ભરી અપલોડ કરવાની કામગીરી 11% થઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. બૂથ લેવલ ઓફિસર ખૂબ જ સારા અને કો-ઓપરેટીવ દેખાઈ રહ્યા છેઃ રોહિત મોલીયારાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિસ્ટમ એનાલિસિસ તરીકે ફરજ બજાવતા રોહિત મોલિયાએ જણાવ્યું હતું કે, SIR ની કામગીરી સબબ શેઠ હાઈસ્કૂલ ખાતે આવ્યો છું. મતદાર ગણતરી માટે અમારી ઘરે જે ફોર્મ આપી ગયા હતા તે ફોર્મ સબમીટ કરવા માટે અહીં આવ્યો છું. અહીં અમને ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. બૂથ લેવલ ઓફિસર ખૂબ જ સારા અને કો-ઓપરેટીવ દેખાઈ રહ્યા છે. જેમની મદદથી અમે સરળતાથી આ ફોર્મ ભરી શક્યા છીએ. તેમણે જણાવ્યું કે, અગાઉ જે નામ કમી કરવાના હતા તે કરી નાખેલા છે જેથી અમે હાથી ખાનામાંથી શિફ્ટ થઈને અહીં ભક્તિનગર સોસાયટીમાં આવ્યા છીએ. તેનું શિફ્ટિંગ પણ અગાઉ કરાવી નાખેલું છે, જેને લીધે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ખૂબ જ આવકારદાયક છે. ‘અત્યારે જે કામગીરી થઈ રહી છે તે દર 10 વર્ષે થવી જોઈએ’આ સાથે જ તેમણે ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ વર્ષ 2002 બાદ વર્ષ 2025માં થઈ રહી છે, તે ખરેખર કેટલી ફાયદાકારક છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ લોકો શિફ્ટિંગ થતા હોય છે. ઉપરાંત ડમી મતદાન પણ થતું હોય છે, ત્યારે આ કામગીરી થવી જ જોઈએ. સરકારની આ ખૂબ જ સારી પહેલ છે. પરંતુ અત્યારે જે કામગીરી થઈ રહી છે તે દર 10 વર્ષે થવી જોઈએ. દર વખતની ચૂંટણી પહેલા જો આ કામગીરી થઈ જાય તો સાચું મતદાન થાય તેઓ મારો અંગત અભિપ્રાય છે. અત્યાર સુધીમાં અંદાજિત બે લાખ જેટલા ફોર્મ અપલોડજ્યારે જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ અંતર્ગત શનિવાર અને રવિવારના દિવસોમાં ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં મતદારો દ્વારા ભરવામાં આવેલા અંદાજિત બે લાખ જેટલા ફોર્મ અપલોડ થઈ ગયા છે, એટલે કે 11% કામગીરી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે (16 નવેમ્બર) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના સાબરકાંઠાથી રાજસ્થાનના રામદેવરાના દર્શને જઈ રહેલા ચાર શ્રદ્ધાળુનાં મોત થયા છે, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. રવિવારે સવારે લગભગ 5:30 વાગ્યે જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-125) પર બાલેસર નજીક આવેલા ખારી બેરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. બાલેસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળસિંહ ભાટીના જણાવ્યા અનુસાર, બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક અને શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા કાર્ગો ટેમ્પો વચ્ચે સામસામે ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક પલટી ગઈ હતી. મૃતકોના નામ અકસ્માતની તસવીરો... ટેમ્પોમાં મહિલાઓ-બાળકો સહિત 20 લોકો સવાર હતાટેમ્પોમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 લોકો સવાર હતા, જેઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 7 બાળક સહિત 12 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે, જેમને પ્રાથમિક સારવાર બાદ જોધપુરની MDM હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પસાર થતાં વાહનચાલકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે બાલેસર, અગોલાઈ અને હાઇવેથી ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે મૃતદેહોને બાલેસર સીએચસી શબઘરમાં રાખ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે. દર્દીઓ માટે દવાનો સંજીવનીરૂપી દવા પૂરીપાડવાને બદલે, આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જતાં દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલો મળી આવતા દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થાય છે. જોકે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાએ આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. સિવિલ હોસ્પિટલનાં જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ખખડધજ એમ્બ્યુલન્સ છે. જેમાં બે એમ્બ્યુલન્સ બહાર 3 બોટલ અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 બોટલ દારૂની મળી આવી છે. આમ સૌપ્રથમ દારૂની 3 ખાલી બોટલો મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા, લાંબા સમયથી નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી એક 108 એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી હતી. આ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની પાર્ટી માણનારાઓ દ્વારા 'સ્ટોરેજ' તરીકે કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગરેટના ટુકડા પણ મળી આવ્યા હતા, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ સ્થળનો ઉપયોગ નિયમિતપણે દારૂ પીવા માટે થતો હશે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની ઘટનાથી લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ આવતા ન હોવાથી અસામાજિક તત્વો તેનો લાભ લે છે. આ નિવેદન હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થાની પોકળતા દર્શાવે છે, જ્યારે એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂ.નો ખર્ચ કરવામાં આવે છે. જોકે, આ ખર્ચ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવવી એ સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ ઈશારો કરે છે. આ પહેલીવાર નથી કે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનું નામ દારૂના વિવાદમાં સપડાયું હોય. અગાઉ પણ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલી ગાડી મળી આવી હતી, ત્યારે પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કડક પગલાં લેવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન ઘટના ફરી સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે અને હોસ્પિટલના કેમ્પસમાં કાયદાનો ડર રહ્યો નથી. સિવિલ હોસ્પિટલની ગરિમા અને શિસ્ત જાળવવાની જવાબદારી ધરાવતા વહીવટી તંત્રના નાક નીચે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. સમગ્ર મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ બાબત હાલમાં જ મારા ધ્યાન ઉપર આવી છે. અત્યારે દારૂની બોટલો ત્યાંથી દૂર કરવાના આદેશો આપી દવ છું. તેમજ આવતીકાલે આ મામલે કડક તપાસ માટેનો આદેશ કરવામાં આવશે અને જે કોઈપણ જવાબદાર હશે તેની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આવી બેદરકારી ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, સિવિલ અધિક્ષકના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહે છે કે આ વખતે હોસ્પિટલ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવશે કે પછી ખરેખર કડક અને નક્કર પગલાં લઈને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓનો અંત લાવવામાં આવશે. હાલમાં, આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચાડ્યો છે. અને આ ઘટના માત્ર રાજકોટમાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹ 1,01,88,720 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹ 1,11,98,720 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB, નવસારીના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પ્રોહીબીશનની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ખાનગી બાતમીદારોને સક્રિય કરીને વોચમાં હતો. તા. 15 નવેમ્બરના રોજ, PI વી.જે. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ને.હા. નં-48 પર, ખારેલ ઓવર બ્રીજના ઉત્તરે તુલસી હોટલ સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. ટ્રકમાં આગળના ભાગે લસણની બોરી મૂકી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બિયર સહિત કુલ 27,252 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત ₹ 1,01,88,720 આંકવામાં આવી છે. આ દારૂની હેરાફેરીના ગુનામાં એક આરોપીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ LCB PI વી.જે. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹ 1,01,88,720 ની કિંમતનો 27,252 નંગ વિદેશી દારૂ, ₹ 10,00,000 ની કિંમતની ટ્રક અને ₹ 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹ 1,11,98,720 થાય છે.
પાટણ શહેરમાં ફેબ્રુઆરી 2023માં બનેલા હત્યા કેસના આરોપી જૈનેશ રાજેશભાઈ વસંતભાઈ તાડાના તેના નાના ભાઈના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પાટણના સેશન્સ જજ એમ.એ. શેખે આરોપીને 16 નવેમ્બર 2025થી 30 નવેમ્બર 2025 સુધી 15 દિવસ માટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આરોપી જૈનેશ પાટણની સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે. તેના પર સરદાર કોમ્પેલેક્ષમાં આવેલા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા હાર્દિક સુથારની હત્યા કરવાનો આરોપ છે. આરોપીના વકીલ અમિતભાઈ એમ. ઠક્કરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. તે ઘરમાં સૌથી મોટો ભાઈ છે અને તેના પિતાનું તાજેતરમાં અવસાન થયું હોવાથી લગ્નની તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી તેની છે. વકીલે ખાતરી આપી હતી કે આરોપી જામીનની તમામ શરતોનું પાલન કરશે. સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોપી સામે ખૂન જેવો ગંભીર ગુનો હોવાથી મોટી રકમની ડિપોઝિટ કરાવવી જોઈએ અને જામીનના સમયગાળા દરમિયાન આરોપીના સ્વખર્ચે પોલીસ જાપ્તા સાથે તેને વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ. પાટણની સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જૈનેશના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપીને પાટણ કોર્ટમાં રૂ. 1 લાખની ડિપોઝિટ જમા કરાવવા અને રૂ. 1 લાખના સધ્ધર જામીન તથા જાત મુચરકો રજૂ કરવા આદેશ આપ્યો હતો. આરોપીને 15 દિવસ માટે લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મળ્યા છે. તેને 30 નવેમ્બર 2025ના રોજ સાંજે જેલમાં પરત હાજર થવાની શરત મૂકવામાં આવી છે. ઉપરાંત, અરજદારે નિયમાનુસાર ભરવાપાત્ર થતો પોલીસ જાપ્તાનો ખર્ચ સંબંધિત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જમા કરાવવાનો રહેશે અને ડિપોઝિટની રકમ જમા થયા બાદ ઉપરોક્ત સમય દરમિયાન યોગ્ય જાપ્તો પૂરો પાડવાનો રહેશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર તથા હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ ધંધા પર પોલીસે અણધારી રેડ કરીને સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાતમી આધારે દરોડાક્રાઇમ બ્રાન્ચને શહેરના પોશ વિસ્તારો સહિત અનેક જગ્યાએ કેફે અને રેસ્ટોરન્ટના નામે ગેરકાયદેસર હુક્કાબાર ચાલતા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, કાફેની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કાની મહેફિલોનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી હુક્કા પીતા અનેક યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે હુક્કાબારના માલિકો અને મેનેજરો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલા હુક્કાબારમાં મોટા ભાગના 'હર્બલ હુક્કા'પોલીસ દ્વારા પકડાયેલા હુક્કાબારમાંથી મોટા ભાગે 'હર્બલ હુક્કા'ના નામે ગેરકાયદેસર રીતે નિકોટીનયુક્ત ફ્લેવર પીરસવામાં આવતી હતી. રેડ દરમિયાન, પોલીસે મોટી સંખ્યામાં હુક્કાના પોટ, જુદી-જુદી પ્રતિબંધિત ફ્લેવરના પેકેટ્સ, નિકોટીનયુક્ત તમાકુ અને અન્ય આનુષંગિક વસ્તુઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કિંમત લાખોમાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે તમામ સેમ્પલને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપ્યા છે, જેથી તેમાં નિકોટીન અથવા અન્ય પ્રતિબંધિત દ્રવ્યોની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. આગામી દિવસોમાં પણ દરોડા ચાલુ રખાશેઅમદાવાદમાં હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, કેટલાક સંચાલકો કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાધનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલતા આવા હુક્કાબારને ઝડપી પાડવા માટે સઘન પેટ્રોલિંગ અને દરોડાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી યુવાનોને આ પ્રકારના નશાથી દૂર રાખી શકાય અને કાયદાનું કડકપણે પાલન કરાવી શકાય. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ગઇકાલ રાતથી શહેરના અલગ આગ હુક્કાબાર પર રેડ કરવામાં આવી છે.હાલ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર હવે સામાન્ય બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં સિંહો ઘૂસી આવ્યાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે 5 સિંહોએ રાજુલાનું મોટા આગરીયા ગામને જાણે બાનમાં લીધું હોય તેમ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આવેલા સિંહોએ ગામની શેરીઓમાં રખડતા પશુઓ પાછળ દોડધામ મચાવી હતી. આ વચ્ચે તરાપ મારી વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. બીજી તરફ સિંહોની લટારને પગલે ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં અફરાતફરી મચીરાજુલાના મોટા આગરીયા ગામમાં રાત્રે સિંહોનું ટોળું આવી પહોંચ્યું હતું. જેથી રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સિંહો શેરીએ-શેરીએ ફરીને પશુઓ પાછળ દોડ લગાવી રહ્યાનું જોવા મળ્યું હતું. પશુઓ પણ જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યા હતા. આ સિંહો રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પહોંચી ગયા હતા, જ્યાં સિંહોના ટોળાને જોઈ વાહનચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા અને પોતાના વાહનો થંભાવી દેવા પડ્યા હતા. સિંહોની લટારને પગલે મોટા આગરીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. રેલવે ટ્રેક હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માતો બન્યાપૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર સિંહોનું ઘર છે અને અહીં સૌથી વધુ સિંહો નોંધાઈ છે. મોટો રેલવે ટ્રેક હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માતો બન્યા છે. દોઢ વર્ષથી આર.એફ.ઓ. અને ડીસીએફની જગ્યા ખાલી હોવાથી વન્યપ્રાણીઓ રામભરોસે મુકાયા છે. તેમણે સરકારને તાત્કાલિક આર.એફ.ઓ. અને અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા વિનંતી કરી હતી. સિંહોના ટોળા ગામમાં પ્રવેશી રહ્યા છે આમાં ખેડૂતો ખેતરે કેવી રીતે જાયઃ સ્થાનિકમોટા આગરીયા ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણે માંગ કરી હતી કે, એક સાથે સિંહોના ટોળા ગામમાં પ્રવેશે ત્યારે ખેડૂતો વાડીએ કેવી રીતે અવરજવર કરે? તેમણે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવા અને જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવાની માંગ કરી હતી. સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી રજૂઆત કોને કરવી તે પણ એક પ્રશ્ન છે. તેમણે સરકારને આ વિસ્તારમાં અધિકારીઓ મૂકીને પેટ્રોલિંગ વધારવા અને વન્યપ્રાણીઓ ગામમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના મુખ્ય વડા, DCFની જગ્યા ચાર મહિનાથી વધુ સમયથી ખાલી છે અને ભાવનગરના DCF ઈન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ડિવિઝન હેઠળ આવતી રાજુલા રેન્જ, જે ઉદ્યોગો, રેલવે ટ્રેક અને સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવતો અતિ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં પણ દોઢ વર્ષથી RFOની જગ્યા ખાલી છે. આખી રેન્જમાં ફોરેસ્ટર પણ નથી અને ગાર્ડ પાસે ફોરેસ્ટરનો ચાર્જ છે. RFOના ચાર્જ પણ અલગ-અલગ અધિકારીઓ વચ્ચે બદલાયા કરે છે. આ સ્થિતિ સિંહોની સુરક્ષા અને સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધારી રહી હોવાનું માનવામાં આવે છે. પેટ્રોલિંગ અને મોનિટરિંગના અભાવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિંહોની લટાર સતત જોવા મળી રહી છે ત્યારે આવો આવી જ કેટલીક ઘટનાઓ જોઈએ... સિંહણની જોડીએ તરાપ મારી પશુનો શિકાર કર્યોઆજથી 14 દિવસ પહેલા ખાંભાના રાયડી ગામમાં રાત્રે બે સિંહણ આવી પહોંચી હતી. ગામની શેરીમાં તરાપ મારી એક પશુનો શિકાર કર્યો હતો. જે બાદ સિંહણની જોડીએ મિજબાની માણી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો ગીર ગઢડામાં એક-બે નહીં, પૂરા 11 સિંહનું શાહી જૂથ જોવા મળ્યુંગત 13 નવેમ્બરની રાત્રે ગીર ગઢડા શહેરના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ 11 સિંહનું આખું જૂથ લટાર મારવા નીકળ્યું હતું. રહેણાક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેથી પેટ્રોલિંગ વધારવાની માગ કરી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યોઆજથી 9 દિવસ પહેલા ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભી જઈ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો
ક્રિકેટર બનવાની ઘેલછામાં ધોરણ 9માં સાથે ભણતા સુરતના મોરા ગામના બે સગીર ઘર છોડી સુરતથી ટ્રેનમાં બેસી મુંબઇ-બોરીવલી અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં બેસી ભીલવાડા પહોંચી ગયા હતા. જતાં પહેલાં સગીરે પરિવારને સંબોધીને હિન્દીમાં એક ચિઠ્ઠી પણ લખી હતી. બન્ને મળી ન આવતા પરિવાર ચિંતામાં પોલીસ પાસે પહોંચ્યો હતો. ઇચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને રેલવે સ્ટેશન સહિતના 93 સીસીટીવી ફૂટેજ તપાસી બન્નેને શોધી કાઢ્યાં હતાં. દીકરો સાંજ સુધી ઘરે ન આપવતા પતિને જાણ કરીસુરતના હજીરા રોડના મોરા ટેકરા ગામમાં રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીનો ધો. 9માં અભ્યાસ કરતો 16 વર્ષીય પુત્ર વિકાસ (નામ બદલ્યું છે) ગત 7 નવેમ્બરે બપોરના 4 વાગ્યાના અરસામાં ઘરેથી વાળ કપાવા જવાનું કહીને ગયો હતો. મોડી સાંજ સુધી પરત નહીં આવતા માતાએ વેપારીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતાં. સલૂનમાં જઈ તપાસ કરી તો વિકાસ વાળ કપાવી ઘરે જવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. માતા-પિતાએ સીસીટીવી જોઈ સ્કૂલના મિત્રોનો સંર્પક કર્યોદોડતા થયેલા માતા-પિતાએ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોરા કોમ્યુનિટી હોલના કેમેરામાં દીકરો હાથમાં બેગ અને ક્રિકેટની બેટ લઈને જતા નજરે પડયો હતો. જેથી વેપારીએ તુરંત જ તેના સ્કૂલના મિત્રોનો સંર્પક કરતા જાણવા મળ્યું હતું કે, વિકાસ અને તેના ક્લાસમાં અભ્યાસ કરતો 15 વર્ષીય નીરવ (નામ બદલ્યું છે) બંને ક્રિકેટ રમવાના શોખીન છે અને વારંવાર ક્રિકેટર બનવાની વાત કરતા હોય છે. માતા-પિતા મિત્રના ઘરે જતાં તે પણ ગાયબ હતોમિત્રો હસ્તક નીરવના ઘરનું સરનામું મેળવી માતા-પિતા તેના ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું કે, 4 વાગ્યાથી નીરવ પણ ગુમ છે. જેથી બંનેના પરિજનો શોધખોળ કરતા ઉધના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સુધી પહોંચ્યા હતાં, પરંતુ પત્તો નહીં મળતા આપમેળે આવી જશે એવું વિચાર્યુ હતું. પરંતુ બીજા દિવસે પણ પરત નહીં આવતા ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સુરત રેલવે સ્ટેશનના અંદાજે 93 કેમેરા ચેક કરતા મુંબઇ જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસે પીછો કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે બન્નેને શોધી કાઢ્યાં, પૂછરપછમાં ક્રિકેટર બનવાનું જણાવ્યુંબંને મિત્રો બોરીવલી સ્ટેશન ઉતરી જયપુર-રાજસ્થાન જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસની બીજી ટીમ જયપુર જવા રવાના થઈ હતી. જો કે, વિકાસ રાજસ્થાનનો હોવાથી પોલીસે તેના પિતાની મદદથી વતન ખાતે સંબંધીઓને જાણ કરતા ભીલવાડા ખાતે મામાના ઘર નજીકથી શોધી કાઢી પરિવારને હવાલે કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંનેને ક્રિકેટર બનવું હોવાથી ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયાની કબૂલાત કરી હતી. સગીરે ચિઠ્ઠીમાં શું લખ્યું?BYY મમ્મી પાપા મેં જા રહા હું અપના સપના પુરા કરને, આપ ચિંતા ના કરે, મેં વાપીસ આ જાઉંગા, કુછ હી સાલો મેં ઓર મુજે ઢુંઢને કી કોશિષ ના કરે, આપ જીતના ઢુંઢોગે મુજે ઉતની હી દિક્કતે હોગી, ઓર ઉતના હીં લેટ મેં ઘર વાપીસા આઉંગા, LOVE YOU, ઇસે મેરા બચપના ના સમજે..!
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પી.જીમાં રહી અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ અંગે પીજી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી યુવકને જોતા તે મૃત હોવાનું જણાયું હતું. જેથી વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂવી જોઈ આવ્યા બાદ ઉઠ્યો નહીંફતેગંજ વિસ્તારમાં બ્લૂલગૂન હોટેલની પાછળ સ્કાય હોમ પી.જીમાં રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના ગતિક અજયકુમાર દાસ (ઉંમર વર્ષ 25) ગત તારીખ 14 નવેમ્બરે રાત્રે 1.30 કલાકે સુભાષ કોલોની ફતેગંજ વિસ્તારમાંથી મૂવી જોઈ આવી સૂઈ ગયા બાદ ગત રોજ ન ઉઠતા પી જી માલિકે 108ને જાણ કરી હતી. પી.જી સંચાલકે 108ને બોલાવીજમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને 108 કર્મીએ તપાસ કરતા તે મૃત હોવાનું પી જી સંચાલકને જણાવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસ તાત્કાલિક દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફતેગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતોઆ વિદ્યાર્થી વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત હોવાથી પોલીસે આત્મહત્યા, કુદરતી મોત કે અન્ય કોઈ બાબત છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં વિદ્યાર્થીના મિત્રોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા શહેરમાં જુના રેલવે સ્ટેશન રોડ નજીક આવેલા ખ્યાતી ગેસ્ટહાઉસમાં આવતા મુસાફરોની પથિક સોફટ્વેરમાં એન્ટ્રી નહીં કરવામાં આવતાં પોલીસ દ્વારા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કોમ્બીંગ દરમિયાન ગેસ્ટહાઉસમાં તપાસ કરીમહેસાણા પોલીસની ટીમ દિલ્હીમાં થયેલા વિસ્ફોટની ઘટના અંતર્ગત મહેસાણા શહેરમાં કોમ્બીંગ નાઈટ દરમિયાન હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન જુના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ખ્યાતી ગેસ્ટહાઉસમાં તપાસ કરી હતી. અહીં ગેસ્ટહાઉસનું સંચાલન કરી રહેલા નરેશ ભીખાભાઈ પરમાર (રહે. સીંધી સોસાયટી, મહેસાણા મુળ રહે. જુના સુદાસણા) મળી આવ્યાં. સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલત્યારબાદ હોટેલનું નોંધણી રજિસ્ટર ચેક કરતાં અહીં રોકાયેલા બે મુસાફરની નોંધણી કરી હતી. જેની પથિક રજિસ્ટરમાં એન્ટ્રી કરી છે તે અંગે પૂછતા સંચાલકે અમારી પાસેનું કોમ્પ્યુટર બગડેલ હોવાથી દોઢ માસથી પથિક સોફટ્વેરમાં એન્ટ્રી કરી ન હોવાનું જણાવ્યું હતું. જેથી સંચાલક સામે કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાં મોખરે રહેતા નલિયામાં આજે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે તેને રાજ્યનું સૌથી ઠંડું શહેર બનાવે છે. ભુજમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને કંડલામાં 17.5 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે શિયાળામાં રાજ્યમાં સૌથી ઠંડું રહેતું નલિયા હવે ધીમે ધીમે ઠંડું પડી રહ્યું છે. બીજી તરફ, ભુજ શહેરમાં હજુ પણ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો સંધ્યાકાળ પછી પણ ગરમ વસ્ત્રો વિના બહાર ફરતા જોવા મળે છે. હાલમાં ભુજમાં ગુલાબી ઠંડીનો માહોલ હોવાથી લોકો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રાત્રિના સમયે તાપણી કરતા લોકો જોવા મળ્યા નથી. જોકે, હવામાન વિભાગે આગામી સમયમાં જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. નિષ્ણાતોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, પૌષ્ટિક અને ગરમ પ્રકૃતિ ધરાવતા ખોરાકનું સેવન કરવાની સલાહ આપી છે. જિલ્લામાં કાળઝાળ ગરમી અને લાંબા સમય સુધી વરસાદ બાદ હવે ઠંડી પણ લાંબા સમય સુધી તેની અસર બતાવશે તેવા અહેવાલ છે. નલિયા સતત બીજા દિવસે રાજ્યમાં સૌથી ઠંડા સ્થળ તરીકે નોંધાયું છે.
રાજ્યમાં શિયાળાનો ચમકારો ધીમે-ધીમે વધી રહ્યો છે. સતત બીજા દિવસે નલિયા 14 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી નીચા તાપમાન સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. રાજ્યમાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રી કરતા નીચે જતું રહેતાં તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાહવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું જોવા મળશે. આ દરમિયાન ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે આગામી કેટલાક દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે જતું રહ્યુંહવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, કંડલા એરપોર્ટ પર 14.6 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.2 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, દીવમાં 15.8 ડીગ્રી, અમદાવાદમાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, વેરાવળમાં 19.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં જૈનોલોજી અંતર્ગત સ્ક્રીપ્ટોલોજી (લીપિશાસ્ત્ર)નો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આ કોર્સ માટે જૈન ટ્રસ્ટ તરફથી મદદ મળશે. આ ઉપરાંત, પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, મોઢેરા અને સિદ્ધપુરના પુરાતત્વીય વારસાને ઉજાગર કરવા માટે ગાઈડનો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા પર પણ વિચારણા થઈ હતી. યુનિવર્સિટી સંલગ્ન કોઈપણ કોલેજ પોતાના વિસ્તારના વારસાને ધ્યાનમાં રાખીને આવા કોર્સ શરૂ કરી શકશે, જેનાથી વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઊભી થશે. યુનિવર્સિટીએ કેટલીક કોલેજોને શરતોની પૂર્તતા માટે અગાઉ લાંબો સમય આપ્યા બાદ ફરી 45 દિવસનો સમય આપ્યો હતો. જે કોલેજોએ આ સમયગાળામાં પણ શરતો પૂરી કરી નથી, તેમની યાદી સરકારમાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ડિપ્લોમા ટુ ડિગ્રીની જેમ પીએચ.ડી.નો ચાર વર્ષનો અભ્યાસક્રમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ત્રણ વત્તા બે વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે, પરંતુ NEP હેઠળ આ કોર્સ ચાર વર્ષનો થશે, જેમાં વિદ્યાર્થીનું અનુસ્નાતકનું વર્ષ એક વર્ષનું થઈ જશે. ચાર વર્ષના પી.જી. કોર્સને કારણે, જે અધ્યાપકો પી.જી.માં ભણાવતા ન હોય તેમને પી.જી.ની લાયકાત આપીને પીએચ.ડી.ની લાયકાત ધરાવતા અધ્યાપકો ચોથા વર્ષમાં ગાઈડ બની શકે તેવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો પણ નિર્ણય લેવાયો છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલપતિ ડો. કિશોર પોરીયા, રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ, દિલીપ ચૌધરી, ડો. શ્રેયાંશ ભટ્ટ, ડો. પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અન્ય ઘણા સભ્યો ઓનલાઈન જોડાયા હતા.
અમદાવાદમાં અકસ્માત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો! 14 નવેમ્બરની મોડીરાતે SG હાઈ-વે પરના રાજપથ રંગોલી રોડ પાસે MBAના વિદ્યાર્થીએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે હોમગાર્ડને ઉડાવ્યા હતાં. આ ઘટનાના બીજા દિવસે એટલે કે, શનિવારે મોડીરાત્રે એક પોલીસની ગાડીએ જ એક કારને અડફેટે લીધી હતી. પૂરઝડપે આવી રહેલી 112 જન રક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે કાર 10 ફૂટ દુર જતી રહી હતી. પોલીસની ગાડીમાંથી 6 સીરપની બોટલો પણ મળી આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો. ટક્કર વાગતાં કાર 10 ફૂટ દુર જતી રહીશહેરના ગોતા વંદે માતરમ્ રોડ પર સાયોના તિલક પાસે 15 નવેમ્બરની મોડીરાત્રે એક કારચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો. કાર પાર્ક થયાને એક મિનિટ જેટલો સમય થયો ત્યાં પાછળથી પૂરપાટ આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરથી વાગી હતી કે, પાર્ક કરેલી ગાડી પણ 10 ફૂટ સુધી દૂર જતી રહી હતી. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ તપાસ કરતા કારમાંથી સીરપની બોટલ મળીઅકસ્માત થતાની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ પણ કરી હતી. સ્થાનિકોએ 112 જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની બોટલ મળી આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ડ્રાઈવરના મેડિકલ સહિતની તપાસઃ PIઆ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એ. દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર પોલીસના ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારમાંથી જે સીરપની બોટલ મળી હતી તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ સીરપની બોટલ અંગે તપાસ કરશે. 14 નવેમ્બરની મોડીરાતે SG હાઈ-વે પર MBAના વિદ્યાર્થીએ કાર વડે બે હોમગાર્ડને ઉડાવ્યા હતાં શુક્રવારની રાતે SG હાઈ-વે પરના રાજપથ રંગોલી રોડ પાસે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. સરખેજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપી મીત જાની (ઉં.વ.22, રહે. રાજશ્રી ટાવર, જોધપુર, સેટેલાઇટ)ની ધરપકડ કરી હતી. આરોપી મીત જાની MBAનો અભ્યાસ કરે છે. બ્રેઝા કાર તેના પિતાના નામે રજિસ્ટર છે. તેના મોઢામાંથી કેફી પીણું પીધું હોવાની ગંધ આવી હતી. દારૂ પીધેલી હાલતમાં તેના મિત્રો સાથે જમવા અને ફરવા માટે નીકળ્યો હતો. (વાંચે સંપૂર્ણ સમાચાર)
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ની પાટણ જિલ્લાની પ્રાંત ટીમે કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ની કામગીરીમાં શિક્ષકો પરના વધુ પડતા દબાણ અને ધરપકડ વોરંટની પ્રથાને તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી. મહાસંઘે BLO તથા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધતા કામના તણાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંગઠને જણાવ્યું હતું કે, શાળાકીય ફરજ બાદ વધારાનું BLO કામ શિક્ષકોમાં માનસિક તાણ અને સમયનો ભારે બોજ સર્જે છે. તેમણે BLO કામગીરીમાં શિક્ષકોને પૂરતી અનુકૂળતા અને સહાય પૂરી પાડવાની પણ માંગ કરી હતી. સંગઠને રજૂઆત કરી હતી કે, BLO કામગીરી માટે જુદી જુદી 13 કેટેગરીના કર્મચારીઓને લેવાની જોગવાઈ હોવા છતાં, લગભગ 95% જવાબદારી શિક્ષકોને જ સોંપવામાં આવે છે. આ પ્રથાને અન્યાયપૂર્ણ ગણાવી અન્ય કેટેગરીના કર્મચારીઓને પણ BLO તરીકે જવાબદારી સોંપવાની માંગ કરવામાં આવી હતી. મહાસંઘે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે BLO ની જવાબદારીના કારણે 6 નવેમ્બરથી દ્વિતીય સત્ર શરૂ થયું હોવા છતાં, BLO કામગીરીવાળા શિક્ષકો શાળામાં હાજર રહી શક્યા નથી. એક શાળામાંથી 3 થી 5 શિક્ષકો 1 થી 1.5 મહિના ગેરહાજર રહે તો શાળાનું શિક્ષણ કથળી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ રજૂઆતો વિશે ત્રણેય અધિકારીઓએ સંગઠનને સાંત્વના આપી હતી અને તેમની રજૂઆત માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આવેદનપત્ર સુપરત કરતી વખતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંતના હોદ્દેદારો ડૉ. રૂપેશ ભાટિયા, ડૉ. હેમાંગીની પટેલ, બાબુભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પટેલ તથા પ્રાથમિક સંવર્ગના જિલ્લાના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગના જિલ્લાના અધ્યક્ષ ડૉ. રાજગોપાલ મહારાજા, ઉચ્ચ માધ્યમિક સંવર્ગના જિલ્લાના અધ્યક્ષ પસાભાઈ દેસાઈ, ચાંદની ઠાકોર, દિનેશભાઈ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા પાટીદાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયા સહિત મોરબી જિલ્લાની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી વ્યાજખોરી અને રોમિયોગીરી જેવા સમાજ માટે ચિંતાના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને, આર્થિક કારણોસર પાટીદાર સમાજનો એક પણ દીકરો કે દીકરી અભ્યાસ ન છોડે તે માટે વિશેષ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મનોજ પનારાએ ઉપસ્થિત સૌને ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટમાં આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી, જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે. પાટીદાર યુવા સેવા સંઘ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા પાટીદાર યુવાનો અને તેમના પરિવારોને મુક્ત કરાવવા અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં નોંધપાત્ર સફળતા મળી છે. મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સંઘની કામગીરીને કારણે ગુંડાગીરી, લૂખ્ખાગીરી અને રોમિયોગીરી પર નિયંત્રણ આવ્યું છે, અને આ દૂષણોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંસ્થા કાર્યરત છે. સ્નેહમિલન દરમિયાન, પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની સ્થાપના, તેમની કાર્યપ્રણાલી અને ઉદ્દેશ્યો વિશે વર્તમાન પેઢીને માહિતગાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બન્યો હોવા છતાં, વ્યસન જેવા કેટલાક દૂષણો ઘર કરી ગયા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને, આગેવાનો દ્વારા સમાજને તેમાંથી મુક્ત કરવા ખાસ ટકોર કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સહકારી સંઘના આદેશ અનુસાર, આ ઉજવણી મોડાસા નાગરિક સહકારી બેન્ક ખાતેથી શરૂ થઈ. આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સહકારી સંસ્થાઓની કામગીરી અને તેના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ અને સહકારી બેંકો જેવી વેપારીઓ અને ખેડૂતો માટેની સંસ્થાઓમાં સારો વહીવટ અને પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા અને રાજ્ય સ્તરે નિમાયેલ સહકારી સંઘોની ભૂમિકા આમાં મહત્વપૂર્ણ છે. આ ઉજવણી અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓની સહકારી સંસ્થાઓમાં કરવામાં આવશે.
સિદ્ધિ:સાળંગપરડા પ્રા. શાળાએ ચેસની રમતમાં સિધ્ધિ મેળવી
વર્ષ 2025ના ચાલી રહેલ ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાએ શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળાએ માઇન્ડ ગેમ ચેસમાં અનેરી સિધ્ધિ મેળવી હતી. ગઢડા તાલુકા કક્ષાનો ઉગામેડી ખાતે ખેલમહાકુંભ ચાલી રહેલ છે. જેમાં ચેસ રમતમાં અંડર 11 ભાઈઓમાં રાઠોડ રુદ્ર સુરેશભાઈ(પ્રથમ), વસાણી હિરેન રસિકભાઈ (દ્વિતીય), રાઠોડ ગજેન્દ્ર ડુંગરભાઈ (તૃતીય) તેમજ અંડર 11 બહેનોમાં વસાણી ત્રિશા નરેશભાઈ (પ્રથમ), રાઠોડ વિધિ પ્રવિણભાઇ (દ્વિતીય), વસાણી નમ્રતા ઈશ્વરભાઈ (તૃતિય) સ્થાન પ્રાપ્ત કર્યું. અંડર 14 ભાઈઓમાં રાઠોડ મૌલિક ધીરુભાઈ (પ્રથમ), ગઢાદરા પ્રિન્સ વિપુલભાઈ (દ્વિતીય) તેમજ અંડર 14 બહેનોમાં રાઠોડ નિયતિ પ્રવિણભાઇ (પ્રથમ) અને મકવાણા દેવાંશી નરશીભાઈ (તૃતિય) સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આ સાથોસાથ શાળાના શિક્ષક ભાઈઓ રાઠોડ અશોકભાઇ મનજીભાઈ (પ્રથમ), ધારાણી ચંદુભાઈ ભાવાભાઈ (દ્વિતીય) અને ઓપન એઈઝ બહેનોમાં શાળાના શિક્ષિકા કૃપાબહેન પટેલ તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતુ. તમામ રમતવીરોને તેમજ માર્ગદર્શન પૂરું પાડનાર ટીમ મેનેજર કિશોરભાઈ સોલંકી અને કોચ અશોકભાઈ રાઠોડ અને ચંદુભાઈ ધારાણીને આ તકે શાળાના આચાર્ય કલ્પેશભાઈ કણઝરિયા અને શાળા પરિવાર શાળાનું નામ રોશન કરવા બદલ તમામ રમતવીરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
સન્માન સમારોહ:બોટાદમાં નવનિયુક્ત કાર્યપાલક ઇજનેરનો સન્માન સમારોહ યોજાયો
ભાસ્કર ન્યૂઝ ।બોટાદ બોટાદ જિલ્લાના સમસ્ત સતવારા સમાજના PGVCLમાં નોકરી કરતાં કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આયોજિત પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી બોટાદના નવનિયુક્ત કાર્યપાલક ઇજનેર પી.જી. કણજરીયાનો સન્માન સમારોહ તા.14ને શુક્રવારના રોજ સાંજના 7.00 કલાકે હોટેલ મહાદેવ, ગઢડા રોડ, બોટાદ મુકામે યોજવામાં આવ્યો હતો. શ્રી સમસ્ત સતવારા સમાજ બોટાદનાં પ્રમુખ અને બોટાદ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ ઉજમશીભાઈ કણઝરિયા, સતવારા બોર્ડિંગ, બોટાદનાં પ્રમુખ અને ટ્રસ્ટના ખજાનચી કરમશીભાઈ ભવાનભાઈ ચાવડા, સમાજના ટ્રસ્ટી ઈશ્વરભાઈ કેશુભાઈ પરમાર, પી.જી.વી.સી.એલ.ના નવનિયુક્ત કાર્યપાલક ઇજનેર પી.જી. કણજરીયા સહિતનાઓની ઉપસ્થતિમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લાનાં સતવારા સમાજના PGVCL માં ફરજ બજાવતાં 50 જેટલાં કર્મચારીઓએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને પ્રાર્થના થકી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકાર આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત તમામ કર્મચારીઓએ ટૂંકો પરિચય આપવામાં આવ્યો હતો.
ચોરી:પાળીયાદમાંજવેલર્સની નજર ચૂકવી 1.30 લાખના સોનાના દાગીનાની ચોરી
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે સોની વેપારીની નજર ચૂકવી ગ્રાહકના સ્વાંગમાં આવેલ અજાણી મહિલા સોના ની સાદી બુટ્ટી જોડી 4 રૂ.1,30,600ની ચોરી કરી ગયાની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. બનાવની વિગત પ્રમાણે બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ગોપાણી શેરીમાં રહેતા અને ખીજડાવાળા ચોકમાં નુર ઝવેલર્સ નામની દુકાન ધરાવતા ફરિયાદી નાહિદભાઇ સરોસભાઇ માંકડ (ઉ.વ.26) ગત-6 નવેમ્બર 25ના સવારે આશરે દશેક વાગ્યે ઉપરોક્ત દુકાન ખોલેલ અને આશરે સાડા અગીયારેક વાગ્યે એક મહિલા આવેલ અને કહેલ કે, સોનાની બુટ્ટી બતાવો . જેથી સોનાની ચાર જોડી સાદી બુટ્ટી બતાવેલ અને બુટ્ટી જોઈ કહેલ કે, મારી દિકરી ને લઈ આવીશ. એમ કહી આ બુટ્ટીનું બોક્ષ પરત આપેલ. ત્યારબાદ તેને કહેલ કે, તે બુટ્ટીનું બોક્ષ ખાલી મને ઉપરથી બતાવો. હું ફરીવાર જોય લવ જેથી સાદી બુટ્ટીનું બોક્ષ ફરી વાર કાઉન્ટર પર ટ્રેમાં મુકેલ અને તે બેને બસો રૂપીયાની નોટ કાઢી કહેવા લાગેલ કે, ચાંદીના છત્તરમાં ઘુઘરી નાખી આપો, જેના બાના પેટે હું તમને બસો રૂપીયા આપું છું. જેથી 200 રૂપીયાની નોટ હાથમાં લીધેલ અને ત્યારબાદ મને કોઈ ખબર રહેલ નહીં અને આ બેન મારી દુકાનેથી જતા રહેલ.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની વિધાનસભા વિસ્તારમાં વિરાટનગર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રા શરૂ કરાશેનિકોલ વિધાનસભામાં આવતા વિરાટનગર વોર્ડમાં ફુવારા સર્કલ પાસેથી આ માર્ચની શરૂઆત થશે. નિકોલના અલગ-અલગ વિસ્તારમાં ફરી પૂર્ણ થશે. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. સાંજે સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે, જેમાં રાણીપના સરદાર ચોક ખાતેથી આ યાત્રા પ્રારંભ થશે અને સરદારબાગ ન્યુ રાણીપ ખાતે પૂર્ણ થશે. સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલની આગેવાનીમાં વિધાનસભાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાશે.
સમસ્યાનો ઉકેલ આવશ્યક:સિહોરમાં વળાવડ ફાટક પાસે ઑવરબ્રિજ બનાવવો જરૂરી
આજે દિવસે–દિવસે વસતી વધી રહી છે. અને જેમ –જેમ વસતી વધી રહી છે તેમ-તેમ વસતીના અનુપાતમાં વાહનો પણ વધી રહ્યા છે. અને સિહોરમાંથી પસાર થતાં ભાવનગર –રાજકોટ રોડ પર ગરીબશાપીર પાસે આવેલ વળાવડ ફાટકે ઑવર કે અંડરબ્રિજ બનાવવાની માંગ ઊઠવા પામી છે. દિવસે-દિવસે વાહનો વધવાના છે. પાલિતાણા તરફ જતી ટ્રેનોની સુવિધા પણ વધવાની છે. અને આથી ફાટક પર અંડર કે ઓવરબ્રિજ બનાવવાની પ્રબળ બની રહી છે. આ જ રોડ પર ઢસા પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. તો સિહોરમાં શા માટે નહીં ? એવો પ્રશ્ન સિહોર પંથકમાં ચર્ચાઇ રહ્યો છે. વળાવડ ફાટક પાસે વહેલામાં વહેલી તકે અંડર કે ઑવરબ્રિજ બનાવવાની અપેક્ષિત લોકમાંગ વધુ પડતી તો નહીં જ ગણાય ને ? ભાવનગરથી પાલિતાણા જતી ટ્રેન એક વાર સવારમાં અને એક વાર સાંજે સિહોરમાંથી પસાર થાય છે. આમ, વળાવડ ફાટક દિવસમાં ચાર વખત બંધ થાય છે. એક વાર ટ્રેન પસાર થવાની હોય એટલે લગભગ 10થી 15 મિનિટ ફાટક બંધ રહે છે. એટલે કે રોજ આ ફાટક એક કલાક બંધ રહે છે. આ ઉપરાંત બાંદ્રા પાલિતાણા વીકલી ટ્રેન પણ અહીંથી જ પસાર થાય છે. આ રોડ પરથી રોજના અંદાજે નાના-મોટા 20 હજાર વાહનો પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગે રેલવે ફાટક આવેલુ હોય દરરોજ હજારો વાહનચાલકોને પરેશાનીસિહોરમાં ભાવનગર –રાજકોટ રોડ પર વળાવડ પાસે ફાટક આવેલું છે. આ ફાટક રાજય ધોરી માર્ગ પર આવેલું છે. આ ફાટક પર પાલિતાણા જતી આવતી ટ્રેનો પસાર થાય છે. જયારે ટ્રેનનો જવા –આવવાનો સમય થાય ત્યારે ફાટક બંધ થાય છે. આ માર્ગ રાજય ધોરી માર્ગ હોવાથી ફાટકની બંને સાઇડ વાહનોની મોટી –મોટી કતારો જોવા મળે છે. જેને કારણે હજારો લોકોના લાખો માનવ કલાકોનો વ્યય થાય છે.
પ્રજાજન પરેશાન:ગારિયાધારના રૂપાવટી ગામ પાસે બેઠલા કોઝ વેથી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ
ગારિયાધાર તાલુકાના હાલમાં મોટા ભાગના રોડ રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.જેમાં ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામ પાસે આવેલ બેઠલા કોઝ વે પર સતત પાણી રહેતું હોય વાહન ચાલકો ને ભારે ચોમાસા દરમિયાન મુશ્કેલી પડે છે. કોઝ વે ને અડી ને જ તળાવ આવેલું હોવાથી અક્સ્માત થવાની પણ આ કોઝ વે હોવાથી શક્યતા રહેલી છે.ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના ગ્રામજનો તેમજ આ રોડ ગારિયાધાર જેસર તાલુકાને જોડતો રોડ હોય વાહનો સતત ધમધમતા હોય જેથી લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રૂપાવટીના ગ્રામજનો તેમજ અહીં પસાર થતા અન્ય વાહન ચાલકો ભયના ઓથાર ઉપર પોતાનું વાહન ચલાવી રહ્યાં છે. રાત્રિના ચાલુ વરસાદે અહીં વાહન પસાર કરવું જીવના જોખમે પસાર કરવું પડે છે.તેમજ અજાણ્યા વાહન ચાલકો તો અહીં કોઝ વે પર પાણી હોવાથી પસાર થવામાં ડર જ અનુભવે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ રૂપાવટી પાસે આવેલ કોઝ વેની આવી હાલત થાય છે.બધા વાહનો પાણીમાંથી જ લોકોને પસાર કરવા પડે છે. તંત્ર દ્વારા આ કોઝ વે નું નિરીક્ષણ કરી ને કોઝ વે બાબતે કાયમી ઉકેલ આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
કાળિયાર અભયારણ્યમાં પ્રવાસીઓનો ઘસારો:કાળિયાર અભયારણ્યમાં દિવાળી અને નવેમ્બરમાં 2941 પ્રવાસી ઉમટ્યા
વલભીપુર નજીક આવેલા નેશનલ બ્લેકબક (કાળીયાર હરણ) અભયારણ્ય ખાતે દિવાળીના તહેવારો તેમજ નવેમ્બર માસ દરમ્યાન સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓને લઇ પ્રતિ વર્ષ સહેલાણીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. અભયારણ્યની આસપાસના ગામો વેળાવદર,ગાંગાવડ, અધેલાઈ, ભડભીડ અને કાનાતળાવ સુધી વિસ્તરેલ હોય સહેલાણીઓ દુર સુધી જઇને કાળીયાર હરણોના ઝુંડને જોઈ આનંદ અનુભવે છે. આ પ્રવાસન સ્થળે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન 2842 પ્રવાસીઓ રાજ્ય અને આંતર રાજ્યના તેમજ 99 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 2941 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તેમ RFO ડી.જી.ગઢવી એ જણાવ્યુ હતું. જો આ અભ્યારણ્યમાં અન્ય પ્રાણીઓને જો સ્થળાંતર કરાવી અહિંયા સ્થાયી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આ પર્યટક સ્થળ વધુ વિકાસ પામે તેમ છે
ગાંજો ઝડપાયો:મહુવાના છાપરી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો
મહુવાના છાપરી ગામે રહેતા એક ખેડૂતે કપાસની આડમાં અલગ અલગ ચાસમાં લીલા ગાંજાની વાવણી કરી હોય તે બાતમીના આધારે બગદાણા પોલીસે છાપરી ગામના વાડી વિસ્તાર માંગાધાર નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. જા કપાસના વાવેતરમાં તપાસ દરમિયાન અલગ અલગ ચાસ માંથી કુલ 50 લીલા ગાંજાના એક ફૂટ થી સાડા ચાર ફૂટ ઊંચાઈના કિં. 51,700 ના છોડ મળી આવતા ખેડૂતની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાપરી ગામે રહેતા કનુભાઈ અરજણભાઈ ગોહિલ ઉં. 64 રહે. સડતર વાડી વિસ્તાર, છાપરી ગામે વાડીમાં કપાસ ની આડમાં અલગ અલગ ચાસમાં લીલા ગાંજા ના વાવેતરની બાતમી મળતા બગદાણા પોલીસે કનુભાઈ ની વાડીમાં દરોડા પાડ્યા હતા. તે વાડીમાં જ આવેલા મકાન થી 100 ફૂટ જેટલા અંતરે કપાસના વાવેતરમાં દરોડા દરમિયાન વાવેતર વચ્ચેથી કનુભાઈ અરજણભાઈ ગોહિલ મળી આવેલ જ્યાં તપાસ કરતા કપાસના વાવેતરમાં ચાસ નં.6 માંથી 12 છોડ, ચાસ નં.7 માંથી 17 છોડ અને ચાસ નં.8 માંથી 21 છોડ જેની ઊંચાઈ એક ફૂટ થી સાડા ચાર ફૂટ ના કુલ 50 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જ્યાં એફ.એસ.એલની ટીમે ગાંજાનું વજન કરતા 1 કિલો 34 ગ્રામ કિં. 51,700 કરી મુદ્દા માલ જપ્ત કરી માટીના સેમ્પલ લીધા હતા અને ખેડૂત સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂત કનુભાઈ અરજણભાઈ ગોહિલ ની વધુ પૂછપરછ કરતા આ છોડ તેને જાંબુડા કટીંગ ખાતે આવેલા આશ્રમમાં સાધુ સંતોની સેવા પૂજા કરવા માટે વાવ્યા હોય તેવું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી મુદ્દા માલ જપ્ત કર્યો હતો. મહુવા અને તળાજામાં ગાંજાનું દૂષણ વધ્યુંત્રણ દિવસ પહેલા જ મહુવાના દયાળ ગામે વૃદ્ધ ખેડૂતે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતા પોલીસે ઝડપી પાડ્યો હતો અને મહુવા તળાજા પંથકમાં લીલા અને સૂકા ગાંજા નું વેચાણ એક દૂષણ બન્યું છે જ્યાં પોલીસે ભૂતકાળમાં અનેક વખત ગાંજાના વાવેતર ઝડપી પાડેલા હતા.
ભાવનગરના લાખણકા ગામના દલિત ઉપસરપંચને જ્ઞાતિથી અપમાનિત કરી ગાળો આપી ગંભીર માર મારવાના ગુના મામલે પોલીસ મથકમાં ચાર આરોપી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસિટીના એક આરોપીને ઘરે આશરો આપનાર ભરતનગરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ની સંડોવણી ખોલવા પામી હતી જેમાં પોલીસ આ બંને મહિલા આરોપીની અટક કરી જમીન ઉપર છુટકારો કરવામાં આવ્યો હતો. હાલ આ ભરતનગર મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાતા મહિલા પોલીસ કર્મી ફરાર થઈ ગઇ છે. ભાવનગર જિલ્લાના તળાજાના દેવલી ગામે રહેતો એટ્રોસીટી નો આરોપી પાર્થ ધાંધલ્યા અને એન્ટિહુમન વિભાગમાં ઉષા જાની ને ઘરમાં આશરો આપવા મામલે ભરત નગર પોલીસ મથકની કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ની અટક કરવા માં આવી હતી. જે દરમિયાન નયના બારૈયા એ ઉચ્ચ અધિકારી ને ધમકી આપી હતી અને પોલીસ એ ઘરમાં ઝડતી કરતા દારૂની બોટલો મળી આવતા જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે ડીવાય એસ પી રીમાબેન ઝાલા એ જણાવ્યું હતું કે, એટ્રોસીટીના આરોપીને છાવરવા મામલે આરોપી નયના બારૈયા વિરુદ્ધ એટ્રોસીટી મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ મામલે આરોપી નયના ને નોટિસ પણ આપવામાં આવશે. જોકે આરોપી નયના બારૈયા ફરાર થઈ ગઇ હોય અને સિહોરના દેવગણા ગામે કારમાં ફરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ રીતે ફરાર હોવા છતા તેની ભાળ અમુક લોકોને છે.
સગીરાની શોધખોળ શરૂ કરાઈ:મહુવામાં મજૂરી કરવા જતી સગીરાને સાથે કામ કરતો શખ્સ ભગાડી ગયો
મહુવા ખાતે મજૂરીનું કામ કરવા જતી એક સગીરાને ત્યાં જ કામ કરતો ધર્મેશ નામનો યુવક બહોળા સમયથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતો હતો, જેને સગીરાની બહેનોએ અનેક વખત મનાઈ કરી હતી. સગીરાને યુવક ભગાડી લઈ ગયો હોવાનું પરિવારે બે દિવસની જહેમતભરી શોધખોળ બાદ મહુવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. મહુવા વિસ્તારમાં મજૂરી કામ કરતી એક સગીરા સાથે ત્યાં જ કામ કરતો ધર્મેશ નામનો યુવક વારંવાર વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. સગીરાની બે બહેનોએ આ યુવકને અનેક વખત સ્પષ્ટપણે વાતચીત ન કરવાની ચેતવણી આપી હતી. છતાંય યુવકનો સંપર્ક સાધવાનો પ્રયત્ન ચાલુ રહ્યો હતો. જ્યારે સગીરાની બે બહેનો રોજની જેમ કામ પર ગઈ હતી અને તેના પિતા પણ બહાર હતા. ઘરમાં માત્ર સગીરા અને તેનો નાનો ભાઈ જ હતા. લગભગ સવારે 11 વાગ્યે નાનો ભાઈ શાળાએ જવા નીકળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પરત ફરતી વેળાએ તેની બહેન ઘરમાં ક્યાંય ન દેખાતા ભાઈએ તેના પિતાને માહિતી આપી હતી જે બાદ પરિવારજનો, સગા-સંબંધીઓ અને આજુબાજુના વિસ્તારોમાં સતત બે દિવસ સગીરાની શોધખોળ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લગતા પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે સગીરાને ધર્મેશ નામનો યુવક ભગાડી ગયો હોય શકે છે, તેવી ફરિયાદ નોંધાવી હતી
શિપ રીસાયકલિંગ ઉદ્યોગની માઠી દશામાંથી ઉગારવા માટે સરકાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગમાં હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો ઉભી કરવાની શરૂઆત 10 વર્ષ અગાઉ થઇ હતી અને વૈશ્વિક સ્તરે જુન-2025થી અમલમાં આવ્યુ હતુ ત્યારે અલંગના 90 ટકા પ્લોટ તૈયાર હતા. બીજી તરફ વિશ્વના 40 ટકા જેટલા જહાજોનો જથ્થો યુરોપીયન યુનિયનના દેશો ધરાવે છે, અને તેઓના દ્વારા રજૂ કરવામાં આવેલા નિયમોનું પાલન કરનાર દેશમાં જ ઇ.યુ. પોતાના શિપ ભંગાણાર્થે મોકલે છે, અને અલંગમાં તેનીખામી હતી. હવે સરકાર દ્વારા તે પરિપૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અલંગમાં ઇ.યુ.ની માન્યતા મળી જાય તેના માટે વધુ એક વખત સક્રિય પ્રયાસો કરી રહી છે. અલંગના 10 જેટલા અગ્રણી શિપ રીસાયકલિંગ જૂથો દ્વારા યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે કામગીરી આગળ ધપાવી હતી, મોટાભાગના સ્થળોએ ઓડિટ પૂર્ણ થઇ ચૂક્યા છે. સરકાર દ્વારા યુરોપીયન યુનિયનની સાથે નિર્ણાયક તબક્કાની વાતચીત શરૂ કરવામાં આવી છે. ઇ.યુ.નો દરજ્જો પ્રાપ્ત કરાવવામાં સરકાર સમક્ષ બે બાબતો તમામ ઓડિટ રિપોર્ટમાં નકારાત્મક આવી રહી હતી, તે ઉચ્ચ ક્ષમતાના ઇન્સિનેટર-જોખમી કચરા સંચાલન સાઇટનું અપગ્રેડેશન અને હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, બંનેમાં સરકારના પ્રયત્નોથી નોંધપાત્ર પ્રગતિ થઇ છે. સરકાર હવે યુરોપીયન યુનિયન સાથે અલંગમાં જહાજો મોકલવાની દિશામાં પણ મસલતો કરી રહી છે. ભાસ્કર ઈનસાઈડશા માટે યુરોપીયન યુનિયનની માન્યતા જરૂરી?લાંબા સમયથી અલંગમાં જહાજોનો જથ્થો તમામ યાર્ડની ઉપલબ્ધતા અને ક્ષમતાની સરખામણીએ નહીંવત્ છે. યુરોપીયન યુનિયન શિપ રીસાયકલિંગ નિયમન શક્તિશાળી પ્રભાવ છે. યુરોપીયન જહાજ માલીકો દ્વારા ફક્ત ઇ.યુ. માન્યતાપ્રાપ્ત યાર્ડમાં જ પોતાના જહાજ ભંગાણાર્થે મોકલે છે. પ્રમાણમાં નફાકારક્તા ધરાવતા ઇ.યુ.ના જહાજો તેઓની આવશ્ક્તા મુજબની સવલતો, માન્યતા ધરાવતા યાર્ડમાં મોકલવામાં આવે તો અંતિમ ખરીદનારને શિપ ખરીદ કિંમતમાં પણ ફાયદો થતો હોય છે. ઉદ્યોગકારોએ સ્વખર્ચે અલંગમાં સુવિધા ઉપલબ્ધ કરીઅલંગની શરૂઆતથી અત્યાર સુધીના 43 વર્ષ દરમિયાન સતત સુધારા સ્વીકાર્યા છે. શિપ રીસાયકલિંગ વ્યવસાયને આગળ ધપાવવા માટે ઉદ્યોગકારોએ સ્વ ખર્ચે પણ સવલતો ઉપલબ્ધ બનાવી છે. જ્યારે સરકાર દ્વારા પણ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટઆંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન થાય જ છેઅલંગ યાર્ડ ખાતે છેલ્લા એક દાયકાથી જેટલા આંતરરાષ્ટ્રીય માપદંડો સૂચવવામાં આવ્યા હતા તેનું સ્પષ્ટપણે અલંગમાં પાલન થઇ રહ્યું છે. યુરોપીયન યુનિયનની જરૂરીયાત મુજબની સવલતો છે, સરકાર દ્વારા ઇ.યુ.ની માન્યતા પ્રાપ્ત કરવા માટે સકારાત્મક સહયોગ અપાઈ રહ્યો છે. > રમેશભાઈ મેંદપરા, ઉપપ્રમુખ,શિપ રિસાયકલીંગ ઈન્ડ.એસો. (ઈન્ડીયા)
કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. અને તેના ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ ખેડૂતોને પડ્યા પર પાટુ હોય તેમ એક તરફ પાકને નુકસાનીનો માર, ત્યારે બીજી તરફ સહાય મેળવવા પણ ભારે હાડમારી વેઠવી પડે છે. સર્વર પ્રોબ્લેમને કારણે મામલતદાર કચેરીમાં પણ ખેડૂતો 7/12, 8/અ ની નકલ મેળવવા ધક્કા ખાય છે. સહાય આપવી છે પરંતુ સુવિધા નથી આપતાં. સહાય ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ સર્વ કરી છે જેમાં ખેડૂતોએ 7/12, 8/અ રજૂ કરવાનું હોય છે જેના આધાર પર ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ફોર્મ આપવામાં આવે છે. પરંતુ 7/12, 8/અ ની નકલ કઢાવવા માટે પણ મામલતદાર કચેરીએ ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. મામલતદાર કચેરીએ સર્વરમાં ટેકનિકલ ખેતીને કારણે ઝડપથી ખેડૂતોના દાખલાની પ્રિન્ટ પણ નીકળતી નથી. ઘણા ખેડૂતો તો છેલ્લા બે દિવસથી ધક્કા ખાય છે. આટલું જ નહીં પરંતુ ખેડૂતો 7/12, 8/અ ની નકલ મેળવી ગ્રામ પંચાયતે ફોર્મ ભરવા જાય ત્યારે પણ તલાટી મંત્રીઓની અનિયમિતતાનો ભોગ બની રહ્યા છે. તલાટીના દાખલા વગર ફોર્મ પણ સબમિટ થતા નથી. જેથી સહાય મેળવવા માટે તંત્રની અસુવિધાથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. કપાસ ખાખ થઈ ગયો, દાખલા માટે ધક્કા17 વીઘા જમીનમાં કપાસ ઉગાડ્યો હતો પરંતુ કમોસમી વરસાદને કારણે કપાસમાં કપાસિયા ઉગી ગયા છે. આખો પાક ખાખ થઈ ગયો છે. સહાય માટે 7/12, 8/અ ની નકલ મેળવવા મામલતદાર કચેરી પણ બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. નિલેશભાઈ ધાંધલીયા, ખેડૂત ખાતેદાર સિદસર જી.આર. માં નથી છતાં વેરાનું એનઓસી માંગેબે દિવસ મામલતદાર કચેરીએ ધક્કા ખાધા બાદ 7/12, 8/અ ની નકલ મળી. ફોર્મ માટે સણોસરા પંચાયતમાં વીસીનો સંપર્ક કરતા ગ્રામ પંચાયતનું લેણું નથી તેવો તલાટી મંત્રીનો દાખલો માગ્યો છે. તલાટી મંત્રીએ પણ જી.આર. માં નહિ હોવા છતાં ગ્રામ પંચાયતનો વેરો ભર્યા બાદ જ ફોર્મ આપવામાં આવનાર હોવાનું જણાવે છે. તલાટી પણ મંગળવાર અને શુક્રવાર બે દિવસ જ આવે છે. જેથી ભારે મુશ્કેલી રહે છે. > હરપાલસિંહ જાડેજા, ખાતેદાર ગજાભાઈની વાવડી
ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે. આવી જ પરિસ્થિતિ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે. જેથી મુખ્યમંત્રીએ તમામ મહાનગરપાલિકા સાથે ભાવનગર કોર્પોરેશનના કમિશનરને પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા આગામી નવેમ્બર ડિસેમ્બર સુધીમાં તમામ રોડના કામ યુદ્ધના ધોરણે ગુણવત્તાસભર પૂર્ણ કરવા સુચના આપી છે. જ્યારે બીજી તરફ ભાવનગર શહેરનો એક પણ રસ્તો ગેરંટી પિરિયડમાં નહીં તૂટ્યા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં અનેક રોડ બિસ્માર હોવાની વાસ્તવિકતાને નકારી શકાય નહીં. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી વીડિયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી, અગ્ર સચિવ સહિત ગુજરાત રાજ્યના મહાનગરપાલિકાના મેયર અને કમિશનર પણ હાજર હતા. ખાસ કરીને હાલમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે ત્યારે યુદ્ધના ધોરણે રોડના કામ પૂર્ણ કરવા અને તે પણ ગુણવત્તાયુક્ત કરવા મુખ્યમંત્રીનો આગ્રહ રહ્યો હતો. ભાવનગર કોર્પોરેશન દ્વારા મોટાભાગના રોડના કામ સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી ત્યારે મુખ્યમંત્રીએ ગુણવત્તા સાથે સમયસર કામ પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. ગુણવત્તાયુક્ત કામ માટે એજન્સીના કામ આધારિત મૂલ્યાંકન કરવાની પણ વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું. અને કામ ન કરનારી તેમજ નબળી ગુણવત્તાનું કામ કરનારી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા કે ઇમ્પેનલ્ડમાંથી દૂર કરવાની કડક કાર્યવાહી માટે પણ તાકીદ કરી હતી. જેના અનુસંધાને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડો. નરેન્દ્રકુમાર મીના, એડિશનલ સિટી એન્જિનિયર, રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત ટીમ સાથે આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડની ચાલતી કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. તેમજ જરૂરી સૂચના આપી હતી. સર્વે માટે ગાંધીનગરથી ટેકનિકલ ટીમના ભાવનગરમાં ધામામુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના રોડ રસ્તાની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટીમની રચના કરવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં કોર્પોરેશન દ્વારા રોડની નબળી કામગીરી છુપાવતા હોય છે ત્યારે સરકાર દ્વારા જ તપાસ માટે ટીમ બનાવી છે. ગાંધીનગર જીયુડીએમની ટેકનિકલ ટીમ ભાવનગર આવી ગઈ છે અને. ગઈકાલથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડની ગુણવત્તા સહિતની ચકાસણી કરે છે અને તેનો રિપોર્ટ સરકારમાં મોકલશે.
સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:જીપીસીબી ભાવનગરના કર્મચારીઓનીરંજાડ અંગે હેડ ઓફિસમાંથી તપાસ શરૂ
ભાવનગર જિલ્લાના ઉદ્યોગોમાં જીપીસીબીના કર્મચારીઓ દ્વારા જુદા જુદા બહાના તળે ઉદ્યોગકારોને હેરાન કરવામાં આવી રહ્યા હતા, અને દિવાળીમાં બોણી આપવામાં અમારૂ નામ યાદ આવતુ નથી? તેવી ગેરવ્યાજબી માંગણીઓ સાથે નિયત સરકારી કામગીરીમાં એક-યા અન્ય કારણોસર વિક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. આ રંજાડના અહેવાલ દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થયા બાદ સરકારમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, અને જીપીસીબીની ગાંધીનગર ખાતેની વડી કચેરીમાં તપાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. તેના અનુસંધાને શનિવારે એક ઉચ્ચ સ્તરીય ટુકડી દ્વારા ભાવનગર જીલ્લાના ઔદ્યોગિક એકમોની મુલાકાત લઇ માહિતી એકત્ર કરવામાં આવી હતી, ઉપરાંત ભાવનગરની જીપીસીબી કચેરીએ પણ કર્મચારીઓની પુછપરછ કરાઈ હતી. જીપીસીબી ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરની પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતિની બાબતના ઘેરા પ્રત્યાઘાત સરકારમાં પણ પડ્યા છે. ઉદ્યોગકારો દ્વારા પણ રાવ ઠાલવવામાં આવી હતી, અને સરકારના એક કદ્દાવર મંત્રીએ પણ ઉદ્યોગકારોને નડી રહેલી મુશ્કેલીઓ અંગે હેડ ઓફિસના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી.
સેવાનું ખાનગીકરણ:GPSથી સજ્જ FRTની 256 ટીમો થશે કાર્યરત
ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડના વર્ષ-2004માં પુનઃગઠનના બાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણમાં અલગ-અલગ છ પેટા કંપની મારફતે કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા ગુડગાંવ (હરિયાણા)ની ખાનગી એજન્સીની રૂ.272 કરોડના ત્રણ વર્ષના કરાર આધારિત નિમણુંક કરવામાં આવી હતી ત્યારે આગામી ડિસેમ્બર મહિનાથી સૌરાષ્ટ્રમાં GPSથી સજ્જ FRTની 256 ટીમો કાર્યરત થશે. PGVCLમાં ટેક્નિકલ સેવાના ખાનગીકરણ સામે ઉભા થયેલા વિરોધથી ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને ચાર મહિના સુધી અટકાવી દેવાયો હતો. વિવાદ શાંત થયા બાદ પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને આગામી આગામી ડિસેમ્બર મહિનાથી લાગુ કરવા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત PGVCLના કુલ 256 સબ ડિવિઝનમાં GPSથી સજ્જ FRTની 256 ટીમો 365 દિવસ અને 24x7 સેવા આપશે. PGVCLના પાંચ સર્કલમાં શરૂઆત કરાશેફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કામગીરીના પ્રથમ ચરણમાં ભાવનગર, રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, જામનગર અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં શરૂઆત કરાશે. હાલ આ ચાર જિલ્લામાં FRT પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ડી.વી. લાખાણી ચિફ એન્જીનીયર, PGVCL ભાવનગર ઝોનલ ઓફિસ સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડપ્રોજેક્ટમાં PGVCL છાશ ફૂંકી ફૂંકીને પીવે છેGEBના પુનઃગઠન અત્યાર સુધીમાં અવનવા ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં વીજ કંપનીઓની ટેક્નિકલ સેવાઓ અત્યાર સુધી બાકાત હતી ત્યારે સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર મેનેજમેન્ટ અને વ્હીકલ સાથેની ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમના ખાનગી કોન્ટ્રાક્ટ સામે ખુદ PGVCLના કર્મચારીઓમાં વિરોધનો સુર ઉભો થયો હતો. આ સ્થિતિમાં પહેલા કોળીએ માખ આવે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે PGVCL વડી કચેરીના તંત્રવાહકો છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે. ક્યા સર્કલમાં કેટલી FRT?
સન્ડે ફોટો સ્ટોરી:ચૂંટણી આવે છે....સીદસર પાસેના તળાવનું બ્યુટિફિકેશન ગતિમાં....!!!
ટૂંક સમય માં જ ભાવનગર મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની શક્યતા વચ્ચે શાસકોને વિવિધ તળાવો, સર્કલો અને અમૃત સરોવરનું બ્યુટિફિકેશન કરવાનો જાણે ઉજમ ચડ્યો છે. ( જોકે બિસ્માર અને બદતર રસ્તાઓ અને અન્ય પાયાની સમસ્યાઓ કોરાણે મૂકવામાં આવી છે ) ત્યારે ભાવનગરના સીદસર નજીક આવેલ અમૃત સરોવરનું મહાત્મા ગાંધી નરેગા ( Mgnrega) યોજના હેઠળ બ્યુટિફિકેશન કરવાની કામગીરી જોરશોરથી શરૂ છે. આશરે 1.04 એકરમાં ફેલાયેલ અને 10000 ઘન મીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવમાં હાલ કિનારાના ધોવાણને અટકાવવા સ્ટોન પિચિંગ, વોક વે અને તિરંગાની થીમ પર રેલીંગને રંગવાની કામગીરી શરૂ છે. જેનાથી ત્યાંના સ્થાનિક લોકોને ફરવા માટે અને વોકિંગ માટે એક વિકલ્પ વધશે.ત્યારે આશા રાખીએ આ તળાવની કાયાકલ્પ થયા બાદ પણ તેની સુંદરતા જાળવવા માટે પ્રજા અને શાસકો કટિબદ્ધ રહેશે.
ત્રણ વર્ષ પહેલાં જમીન ખરીદવા માટે રોકડ લઇને નીકળેલા રાંદેરના બિલ્ડર રાત્રે વરિયાવ ચેક પોસ્ટ પાસે લઘુશંકા માટે ઉભા હતા ત્યારે કારમાં આવેલા બચાવ બંધુ સહિત ચાર જણાએ ‘સદ્દામભાઇ કો બિના બતાયે જમીન ખરીદને નીકલે હો’ કહીને ચપ્પુ બતાવી રૂ.9.56 લાખ લૂંટી લીધાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કામરેજ તાલુકાના કઠોર ગામના વતની અને હાલ રાંદેર સ્થિત દિલકશ એપાર્ટમેન્ટમાં રહેતા હમઝા મોહમ્મદ યુસુફ મર્ચન્ટ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 26-6-2022ના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં હમઝા મોહમ્મદ મર્ચન્ટ અને તેનો મિત્ર આકીબ મોહમ્મદ સલીમ પુનાવાલા (રહે. અચલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, પંડોળ, નાણાવટ) સાથે રોકડા રૂપિયા 9.56 લાખ લઈ વરિયાવ ગામમાં જમીનનો સોદો કરવા માટે ગયા હતા. જોકે, ત્યાં અલગ-અલગ જમીન જોઇ પણ એપાર્ટમેન્ટ બની શકે તેવી નહીં લાગતાં રાત્રે બંને મિત્રો બાઇક પર સવાર થઇને પોતાની ઓફિસે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન રાત્રે 8.30 વાગ્યાના અરસામાં બંને મિત્રો જહાંગીરપુરા ચેક પોસ્ટ પાસે લઘુશંકા માટે ઉભા રહ્યા હતા ત્યારે એક કારમાં ઇમ્તીયાઝ ઉર્ફે સદામ ઇકબાલ બચાવ તેનો ભાઇ ફૈસલ (બંને રહે. અલફેશીની ટાવર, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે) ઈકબાલ મેમણ (રહે, આમલીપુરા, રાંદેર) અને સાહિદ શબ્બીર ગૌડીલ (રહે, ટ્વિન ટાવર, રાંદેર) આવ્યા હતા. ઈમ્તીયાઝ ઉર્ફે સદ્દામે હમઝા મોહમ્મદ પાસે આવી ‘સદ્દામભાઈ કો બતાયે બિના જમીન ખરીદને નિકલ પડે હો, યહ ઈલાકા સદ્દામભાઈ કા હૈ, યહાં સદ્દામભાઈ જમીન કા ભાવ તૈય કરતા હૈ’ એમ કહ્યું હતું. જ્યારે હમઝાએ ‘હજુ મેં કોઈ જમીનનો સોદો કર્યો નથી’ તેમ કહેતા આ ચારેય જણાએ એકદમ ઉશ્કેરાઈ જઈને હમઝા અને તેના મિત્ર મોહમદ આકીબ મોહંમદ સલીમ પુનાવાલાને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો. ઈમ્તીયાઝ ઉર્ફે સદામ તથા સાહિદ ગૌડીલ તથા ઈકબાલ મેમણે બંને મિત્રોને પકડી રાખ્યા હતા અને ફૈસલ ઈકબાલ બચાવએ બંનેને લાતો મારી પોતાની ફોરવ્હીલ ગાડીમાંથી રેમ્બો છરો લઈ આવી છરો બતાવીને રોકડ ભરેલી બેગ લૂંટી લીધી હતી અને ફૈસલે ‘ચીલ્લાઓ મત, વરના તુમ ઔર તુમ્હારા પરિવાર જાન સે હાથ ધો બેઠોગે’ એવી ધમકી આપી કારમાં બેસીને સારોલી-ઓલપાડ તરફ ભાગી ગયા હતા. જોકે ત્યારબાદ પણ ઇકબાલ મેમણ અવારનવાર હમઝા મોહમ્મદને ફોન ઉપર વોટસઍપ કોલથી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે હમઝાએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય જણા સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સદામ અને સાહિદ ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલાયાપોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં ઇમ્તીયાઝ ઉર્ફે સદામ, સાહિદ ગૌડીલ સામે સુરતના બિલ્ડરને ચપ્પુ બતાવી મારામારી કરીને ખંડણી ઉધરાવવાની છ જેટલા ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને તેમને જેલમાં ધકેલી દીધા છે. જ્યારે ફૈઝલ સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસ કાર્યવાહી:ડી-માર્ટમાં સસ્તી વસ્તુનું સ્ટિકર મોંઘા પર ચોંટાડી ઠગવા જતો યુવક ઝડપાયો
સચિનના ડી માર્ટ મોલમાં સસ્તા સામાન પરથી સ્ટિકર મોંઘી વસ્તુ પર ચોંટાડી ચીટિંગ કરવા જતા બિલિંગ કાઉન્ટર પર બારકોડ સ્કેનિંગ વેળા મેડિકલ સ્ટોર સંચાલકનો ભાંડો ફૂટી ગયો હતો. સ્ટોર મેનેજરે ફરિયાદ આપતાં પોલીસે ફુલદીપરાજસિંહ હંજારામ ચૌધરી (32) (રહે, સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, ભેસ્તાન) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી ભેસ્તાનમાં મેડિકલ સ્ટોર હોવાનું પોલીસને જણાવ્યું છે. ડી-માર્ટમાં 12મી તારીખે બપોરના સમયે એક શખ્સ બે બાળકો સાથે ઘરવખરી સામાનની ખરીદી કરવા માટે આવ્યો હતો. મોલમાં અંદર ફરીને અલગ અલગ 103 વસ્તુઓ લીધી હતી. પછી ટ્રોલીબેગમાં સામાન ભરી મોલમાં બિલિંગ કાઉન્ટર નંબર નંબર-14 પર આવ્યો હતો. જ્યાં આગળ સ્ટાફે સામાનનો બારકોડ સ્કેન કરી ગણતરી કરતા હતા. તેવામાં 3 વસ્તુઓ મોંઘી હતી છતાં તેની ઉપર લાગેલા સ્ટીકરોમાં કિંમત ઓછી લખી હતી. આથી સ્ટાફને શંકા જતા બારકોડના આધારે યુવકનો ભાંડો ફુટી ગયો હતો. વધુમાં મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવક સસ્તા સામાન પરથી સ્ટીકર કાઢી મોંઘા સામાન પર લગાવતો દેખાય છે. જુલાઈમાં પણ સામાન સસ્તામાં તફડાવી ગયો હતોમેડિકલ સ્ટોર ચલાવતા કુલદીપરાજસિંહ અગાઉ જુલાઈ માસમાં પણ ડીમાર્ટમાં ખરીદી કરવા આવ્યા હતા. તે વખતે સસ્તા સામાનની ઉપરથી સ્ટીકર કાઢી મોંઘી કિંમતના સામાન પર ચોટાંડી ખરીદી કરી ગયો હતો. તે વખતે પણ સામાન પડાવીને 1-2 હજારની ચીટીંગ કરી હોવાની વાત સામે આવી રહી છે. 1295 રૂપિયાની વસ્તુઓ 135 રૂપિયામાં ખરીદી હતીયુવકે મોલમાંથી પરફ્યુમ ખરીદી કરી તેની કિંમત 499 રૂપિયા હતી. આ માટે તેણે 25 રૂપિયાની કેડબરીનું સ્ટીકર કાઢી પરફ્યુમની બોટલ પર ચોટાંડી દીધું હતું. આવી જ રીતે આયુવૈદીક ઓઇલ જેની કિંમત 399 હતી તેમાં 45 રૂપિયાવાળા સાબુમાંથી સ્ટીકર કાઢી લગાવી દીધું હતું. ઉપરાંત કોન્ડોમનું પેકેટ 532 રૂપિયાની કિંમતનું હતું તેમાં 65 રૂપિયાની કિટકેટ ચોકલેટનું સ્ટીકર લગાવી દીધું હતું.
દારૂ ઝડપાયો:દેલ્હીવેર કંપનીના પાર્સલમાંથી દારૂની 237 બોટલો પકડાઇ
સચિનના કાછોલીમાં આવેલા દેલ્હીવેર કંપનીના ગોડાઉનમાંથી રૂ.86,240ના દારૂની બોટલો ભરેલા 4 પાર્સલ પોલીસે પકડી પાડ્યા છે. આ દારૂ ગોવાથી મોકલાયો હતો. સચિન પોલીસને બાતમી મળી હતી કે, ભાટિયાથી ડિંડોલી તરફ જતા રોડ પર કાછોલીમાં દેલ્હીવેરી લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આવેલા 4 પાર્સલમાં દારૂની બોટલ આવી છે. બાતમીના આધારે પી.આઇ. પી.એન વાધેલા અને ટીમે ગોડાઉનમાં જઇને તપાસ કરતા પાર્સલના બોક્સમાંથી રૂ.86,240ની કિંમતની 237 દારૂની બોટલો મળી આવી હતા. આ પાર્લસ મોકલનાર સાંઇ એન્ટરપ્રાઇઝ પેલીગોલ, ધાવલી બાયપાસ પોન્ડા ગોવા અને વેસુ રાજહંસ સિનેમાની બાજુમાં આવેલ ફોનીક્સ શોપિંગમાં આવેલી જગદિશ એન્ટરપ્રાઇઝના નામે મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ ગોવાથી માલ મોકલનાર અને સુરતમાં મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ આદરી છે. પાર્સલ ઉંચકતા શંકા ગઈઆ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રકમાં આવેલા પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે આ પાર્સલમાં દવા હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, કર્મચારીએ પાર્સલ ઉંચકતા તેને દારૂ હોવાની શંકા ગઇ હતી. શિરપ-દવા મોકલી હોવાનું બિલ બનાવાયુંદેલ્હીવેરમાં મોકલવામાં આવેલા પાર્સલમાં મોકલેલી દારૂની બોટલ સલામત રહે તે માટે પુઠાના બોક્સમાં અંગ પ્લાયવુડના ટુકડાથી સપોર્ટ મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ પાર્સલમાં સિરપ અને દવાઓ હોવાનું લખ્યું હતું તથા બિલ ટી પણ દવાનું મોકલવામાં આવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:સરકારી નોકરી છોડી, PFના મળેલા પૂરા 29 લાખ 1101 પ્રજ્ઞાચક્ષુની સેવામાં વાપરી નાખશે
સમાજમાં શારીરિક ક્ષતિ ધરાવતા અનેક વ્યક્તિઓ હોય છે પરંતુ ઈશ્વરે તેની અંદર કંઈક અલૌકિક શક્તિઓ મૂકીને તેના જીવનને ખાસ બનાવી દીધું હોય છે. મૂળ સુરેન્દ્રનગરના વતની પ્રજ્ઞાચક્ષુ શિક્ષક શશીકાંતભાઈ તન્નાએ પ્રજ્ઞાચક્ષુઓની સેવા માટે નોકરી છોડી દીધી પીએફ અને સરકારી યોજનામાંથી મળેલા 29 લાખ રૂપિયા માત્ર ને માત્ર પ્રજ્ઞાચક્ષુની સેવામાં વાપરવાનો સંકલ્પ કરી 101 પ્રજ્ઞા ચક્ષુઓને જરૂરિયાત મુજબની તમામ સેવા અને સુવિધા પુરી પાડી સમાજમાં આદરપૂર્વક પોતાનું સ્થાન બનાવી શકે તે માટે રહેવા માટેનું આશ્રય સ્થાન બનાવવા માટે પ્રયત્નો કર્યો હતો પરંતુ તે પ્રયત્ન માત્ર 100 લોકો સુધી ન રહેતા તેમાં 10 ગણો વધારો કરીને 1108 પ્રજ્ઞાચક્ષુ રહી શકે તે માટે પરમાર્થ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર એ બીડું ઝડપ્યું છે. સંસ્થાના અગ્રણી ભરતભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક દંપતિ નો ખુબ જ ઉમદા ભાવ સાથે સંકલ્પ હતો પરંતુ તેમાં વધારે ઉમેરો કરીને અમે 1100 પ્રજ્ઞાચક્ષુઓને રહેવા જમવા માટેની સુવિધા ઉભી કરવાના છીએ. હાલ વાવ ગામમાં ભાડાની જગ્યામાં 22 વ્યક્તિ રહે છે 300 ફોર્મ આવી ગયા છે. કોર્પોરેશન પાસે જગ્યાની માગણી કરી દાતાઓના સહયોગથી ભવન ઉભુ કરવામાં આવશે. સંસ્થા તાલીમ આપી રોજગારી આપવા માટે પ્રયાસ કરે છેપ્રજ્ઞાચક્ષુઓને માત્ર રહેવા જમવા માટેની સુવિધા પૂરી પાડવી એટલું જ નહીં પરંતુ તેઓને જે વિષયમાં રૂચી હોય તેની તાલીમ આપવામાં આવે છે તાલીમ લીધા પછી તેને રોજગારી પણ આપવામાં આવે છે તે ભલે સંસ્થામાં રહેતા હોય પરંતુ અહીંયા રહીને પણ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે માટે કામ આપવામાં આવશે. કોમ્પ્યુટર, સંગીત,પેકેજીંગ, સોસાયટીમાં લિફ્ટ મેન વગેરે કામ કરી શકે એના માટે તાલીમ આપવામાં આવશે અને તમામને રોજગારી મળી શકે તેવો પ્રયાસ કરવામાં આવે છે. પ્રજ્ઞા ચક્ષુઓની સેવા માટે સરકારી નોકરી કરી દીધીહું જ્યારે અમરેલીમાં 10મુ ધોરણ ભણતો ત્યારે ભીખ માંગતા બિહારી છોકરાને જોઇ મેં પૂછ્યું કે અહીં કેવી રીતે આવ્યો તો તેણે કહ્યું કે હું અંધ હોવાથી માતાએ મને ઘરેથી કાઢી મૂક્યો કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. આ વાત સાંભળીને નિશ્ચય કર્યો કે પ્રજ્ઞાચક્ષુઓ માટે કંઈક કરવું જોઈએ. અંધજન સંસ્થામાં ટ્રસ્ટી રહીને 22 વર્ષ સુધી સરકારી નોકરી કરી 2022માં કંઈક કરવાના વિચાર સાથે VRS લઈ મળેલી તમામ રકમ સેવામાં વાપરવી અને પત્નીના પગારમાંથી જીવન નિર્વાહના સંકલ્પ સાથે સંસ્થાનો પ્રારંભ કર્યો. > શશીકાંતભાઈ તન્ના,
નોકરી ન્યૂઝ:ટેરિટોરિયલ આર્મીની ભરતી શરૂ, યુવાનો માટે દેશ સેવામાં જોડાવવાની સુવર્ણ તક
ટેરિટોરિયલ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છુક યુવાનો માટે મહત્વપૂર્ણ તક છે. ટેરિટોરિયલ આર્મીની 2025ની ભરતી તબક્કાવાર શરૂ થઈ ગઈ છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, તેલંગાણા, ગોવા તથા દાદરા-નગર હવેલી, દમણ-દીવ, પોન્ડિચેરી અને લાક્ષદ્વીપમાં આ ભરતી કેમ્પ આગામી પહેલી ડિસેમ્બર સુધી ચાલશે. આવી જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તરાખંડમાં 14 ડિસેમ્બર સુધી ભરતી કેમ્પ ચાલશે. જ્યારે દિલ્હી અને હરિયાણા માટે 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીનો કાર્યક્રમ જાહેર થયો છે. કુલ 792 જગ્યાઓ માટે ભરતી થશે, જેમાં સૈનિક (જનરલ ડ્યૂટી), સર્વે, રીગ, શેફ સ્પેશિયલ, દરજી, મેસ, હાઉસ ક્રોયર સહિતના વિવિધ ટેકનિકલ અને સામાન્ય પદો સામેલ છે. ઉમેદવારોનું સૌપ્રથમ શારીરિક માપદંડ અને મેડિકલ તપાસ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. લેખિત પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેમ્પમાં જતા સમયે ડોમિસાઇલ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, પાત્રતા પ્રમાણપત્ર, 10 અને 12ની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, પાનકાર્ડ અને આધારકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા વિનંતી છે. વધુ વિગતો માટે ઉમેદવારો અધિકૃત વેબસાઈટ territorialarmy.in પર મુલાકાત લઈ શકે છે. ટેરિટોરિયલ આર્મી–2025ની જગ્યાઓ • સૈનિક (જનરલ ડ્યૂટી): 752 • સૈનિક (સર્વે): 06 • સૈનિક (રીગ): 07 • સૈનિક (શેફ સ્પેશિયલ): 01 • સૈનિક (સર્વિસ): 02 • સૈનિક (રેલયવી): 02 • સૈનિક (કમ્પવાયર): 02 • સૈનિક (કાર્પેન્ટર): 02 • સૈનિક (હેલ્થ ટ્રેઝર): 03 • સૈનિક (દરજી): 01 • સૈનિક (હાઉસ ક્રોયર): 10 • સૈનિક (મેસ): 04
નિર્ણય:પશ્ચિમ રેલ્વે બાંદ્રા-દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવશે
સુરત | મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા (જયપુર) વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, આ ખાસ ટ્રેન ફક્ત બે ટ્રીપ માટે જ દોડશે. સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 09730, 17 નવેમ્બર, સોમવારના રોજ સવારે 10:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:30 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09729, 16 નવેમ્બર, 2025, રવિવારના રોજ બપોરે 12:25 વાગ્યે દુર્ગાપુરાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7:00 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન સુરત, વડોદરા, રતલામ, નાગદા અને કોટા સહિત અનેક સ્ટેશનો પર રોકાશે. મુસાફરોની સુવિધા માટે, ફર્સ્ટ એસીથી લઈને જનરલ અને સેકન્ડ ક્લાસ સુધીના તમામ કોચ ઉપલબ્ધ રહેશે.
ગોઝારો બનાવ:ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકતાં યુવકનું ગળુ કપાઈ ગયું
પાંડેસરામાં ટાઈલ્સનું કામ કરતી વખતે ટાઈલ્સ કાપવાનું મશીન છટકી જતા ગળુ કપાઈ જવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. લિંબાયત નીલગીરી સર્કલ રંગીલા નગર ખાતે રહેતો 19 વર્ષીય રાહુલ રવિન્દ્ર મગરે ટાઈલ્સ ફીટીંગનું કામ કરતો હતો. શનિવારે સવારે પાંડસરા આવિર્ભાવ સોસાયટીમાં એક મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકી જતા રાહુલનું ગળુ કપાઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અક્સમા મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત:લોનના હપ્તા ન ભરાતા યુવાન રત્નકલાકારનો ઝેર પી આપઘાત
કતારગામના યુવાન રત્નકલાકારે ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું. પર્સનલ લોનના હપ્તા ન ભરાતા રત્નકલાકારે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. સુરેન્દ્ર નગરના વતની અને કતારગામ બળવંત નગર ખાતે રહેતો 24 વર્ષીય વિકાસ ચમનભાઈ સરવાડીયા હીરાના કારખાનામાં કામ કરી એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે રાત્રે વિકાસે ઘરે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ શનિવારે સવારે તેનુ મોત નીપજ્યું હતું. વિકાસે પર્સનલ લોન લીધી હતી. જેના હપ્તા ભરાતા ન હોવાથી તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. આપઘાતના અન્ય બનાવમાં અમરોલી પ્રમુખ રેસીડેન્સી ખાતે રહેતા 32 વર્ષીય અશ્વિન અરજણભાઈ ચાંદપરા સાડીનું હેન્ડવર્કનું કામકાજ કરતા હતા. શુક્રવારે રાત્રે તેમણે અમરોલી ખોડીયાર ફાર્મ પાસે ઝેર પી લીધું હતું અને ત્યાર બાદ મિત્રને જાણ કરી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
કારખાનામાં લાગી આગ:ભાઠેનામાં બ્લાઉઝના કારખાનામાં શોર્ટસર્કિટના કારણે આગ, દોઢ કલાકે અઆગ કાબૂમાં આવી
ભાઠેના માં બ્લાઉઝના કારખાનામાં ત્રીજા માળે શનિવારે સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. ભાઠેના નસરવાનજી એસ્ટેટમાં તૈયાર બ્લાઉઝના કારખાનામાં ત્રીજા માળે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. કારખાનામાં આગ લાગી હોવાની જાણ થતાની સાથે કારખાનામાં કામ કરતા કામદારો બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દોઢ કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં તૈયાર બ્લાઉઝ તેમજ કાપડનો જથ્થો બળી ગયો હતો. જ્યારે અડધો જથ્થો ફાયરની ટીમે બચાવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પનાસ નજીક રોડ પર પટ્ટા પાડતા મશીનમાં આગ પનાસ કેનાલ રોડ પર રોડ પર પટ્ટા પાડવાની કામગીરી શનિવારે વહેલી સવારે ચાલી રહી હતી. દરમ્યાન ગેસ દ્વારા ગરમ થતો કલર ટેમ્પોમાં પડતા આગ પકડાઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો અને ટેમ્પોને બચાવી લીધો હતો.
સુરત સહિત રાજ્યભરમાં મતદાર યાદી અપડેટ માટે ચાલી રહેલી બીએલઓ કામગીરીમાં 90% શિક્ષકો ફરજ બજાવે છે, જેમાં 70% મહિલા શિક્ષકો છે. ચૂંટણી પંચે આ મહિલાઓના ફોન નંબર જાહેર કર્યા હોવાથી કેટલીક જગ્યાએ ટિખળખોરો અડધી રાતે ફોન કરી પુછે છે, ‘શું કરી રહી છે? એકલી છે કે પરિવાર સાથે’ આ પરિસ્થિતિ મહિલાઓને પરિવાર અને સામાજિક સ્તરે અશોભનીય સ્થિતિમાં મૂકાઈ છે. આ વાત શિક્ષણ સમિતિના શિક્ષક સૂત્રોથી જણાઈ છે. અત્યાર સુધી અન્ય 12 કેડરના કર્મચારીઓમાં પણ BLO ફરજ ફાળવવાની વ્યવસ્થા હોવા છતાં 90% કર્મચારીઓ તરીકે શિક્ષકોને જ બીએલઓની ફરજ સોંપવામાં આવી છે. પરિણામે સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું અભ્યાસ બગડી રહ્યો છે.જેથી તે 12 કેડરના કર્મચારીઓને પણ બીએલઓની ફરજ સોપવાની માંગ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ શિક્ષિકાઓ માનસિક તણાવ અનુભવી રહી છેકેસ-1: અડધી રાતે કેટલાક લોકો ફોન કરીને ‘તમે શું કરી રહી છે?’ અથવા ‘હાલમાં ક્યાં છે?’ પુછે છે, ક્યારેક ‘એકલા છો કે ઘેર લોકો છે?’ પણ પુછે છે. આવા કોલથી પરિવારમાં તકલીફ આવી જાય છે અને માનસિક તણાવ પણ ઊભો થાય છે. કેસ-2: કેટલાક લોકો નંબર સાથે નામ જાણી લઈને સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલે છે, પરિવાર સાથેના ફોટા લાઈક અથવા કમેન્ટ કરે છે. આ રીતે મહિલાઓને હેરાનગીને સામનો કરવો પડે છે. કેસ-3: ઘણી વખત વિચિત્ર પ્રશ્નના ફોન પર જવાબ નહીં આપે તો લોકો ગુસ્સે થઈ જાય છે. જેમાં ‘કેમ એકલા છો?’, ‘તમારા લગ્ન થઈ ગયા?’, ‘તમે ક્યારે લગ્ન કરશો? મારો દિકરો હજી કુવારો છે’ જેવા સવાલ પુછવા સાથ વાત રહે છે, જે વાત અને સવાલનો જવાબ નહીં આપીયે તો ગુસ્સે થઈ જાય છે.સતત તણાવ સર્જે છે.
ટ્રમ્પના ટેરિફને કારણે જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને મોટી અસર પડી છે. છેલ્લાં 8 વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં આ વર્ષે સૌથી ઓછું 9071 કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયું હતું. સૌથી વધુ એક્સપોર્ટ 2021ના ઓક્ટોબરમાં 19175.16 કરોડ અને 2018ના ઓક્ટોબરમાં 16993.89 કરોડ હતું. ગત વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં લેબગ્રોનના એક્સપોર્ટમાં પણ 31.5 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં 1218 કરોડના જ્યારે આ વર્ષે 834 કરોડના લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. પ્લેઈન ગોલ્ડ જ્વેલરી, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરીનાં એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે. ઓર્ડર ઘટી ગયા, અમેરિકનોને પણ જ્વેલરી મોંઘી પડી રહી હોવાથી ખરીદી ટાળી રહ્યા છેપ્લેટિનમને બાદ કરતાં જેમ એન્ડ જ્વેલરીની મોટા ભાગની કેટેગરીમાં એક્સપોર્ટ ઘટ્યું છે. અમેરિકાએ જેમ એન્ડ જ્વેલરી પ્રોડક્ટ પર ટેરિફ લાદ્યો છે તેની આ અસર છે. આ વર્ષે નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 23 ટકા જ્યારે પ્લેઈન ગોલ્ડ જ્વેલરીમાં 31.50 ટકાનો ઘટાડો થયો છે. દિવાળીના મહિનામાં એક્સપોર્ટ કર્યું હતું, પરંતુ હાલ ઓર્ડર ઓછા છે. ભારતની જેમ એન્ડ જ્વેલરી પર મોટો ટેરિફ લાગતાં અમેરિકનોને પણ જ્વેલરી મોંઘી પડી રહી છે, જેથી ખરીદી ટાળી રહ્યા છે. તેમની ખરીદી ઓછી થઈ હોવાથી તેની અસર ભારત અને ખાસ કરીને સુરતના માર્કેટ પર પડી રહી છે. > દિનેશ નાવડિયા, ચેરમેન, IDI ઓક્ટોબરમાં જેમ જ્વેલરીનું એક્સપોર્ટ (કરોડમાં) 8 વર્ષમાં ઓક્ટોબરમાં નેચરલનું એક્સપોર્ટ (કરોડમાં)
આવેદન:શિક્ષકો સામે ધરપકડ વોરંટ કઢાતાં વિરોધ વંટોળ
ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘએ શિક્ષકોની બીએલઓની તેમજ સુપરવાઇઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીનું જલ્દી નિરાકરણ લાવવા અને ધરપકડ વોરંટ પ્રથા સદંતર રદ કરવા માટે મુખ્ય મંત્રીને સંબોધીને અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ હેઠળ સુપરવાઇઝર ના માર્ગ દર્શન હેઠળ ભૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને એમ્યૂરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શિક્ષકો માટે અત્યંત કઠિન સમય માગીલે તેવું અને માનસિક તણાવ ઊભું કરનાર છે. કોઈ કારણ સર બીએલઓ શિક્ષક કામગીરી માં હાજર ન રહી શકે તો તેની ધરપકડ વોરંટ જારી થવાથી ખુબજ દુખદ અને અપમાન જનક છે. વધુમાં જણાવ્યુ છે કે લક્ષ્યાંક પૂર્ણ કરવામાં ઘણા બધા પરિબળો અસર કરતાં હોય છે. જેથી અમારી મુખ્ય માગ છે કે બીએલઓ કામગીરી દરમિયાના ધરપકડ વોર્સ્ન્ત પ્રથા રદ કરવા માં આવે. બીએલઓ ફરજનો સમાન વહેંચણી આદેશ અમલ માં લાવો, શિક્ષકોને અપમાન જનક વર્તનથી મુક્તિ આપવી, તેમજ ચૂંટણી પંચના આદેશ મુજબ અન્ય કેડરના કર્મચારીઓમાં થી સમાન ફાળવણી થાય તેવી શૈક્ષિક મહાસંઘએ આવેદન પાઠવી રજૂઆત કરી છે. બીએલઓ કામગીરી સાથે શાળાને આ કામગીરી પણ સોપાયભરૂચ જિલ્લામાં 700 જેટલા શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. તે સિવાય પણ અન્ય કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવી છે, જેવી કે વાંચન-ગણન, નિપૂર્ણ પખવાડિયું, કલાઉત્સવ જેવી કામગીરી માટે પણ પરિપત્ર કરવામાં આવ્યા છે. જેથી શિક્ષકો કઈ રીતિ તમામ કામગીરી એક સાથે કરવી તેવી મુંઝવણમાં મુકાયા છે. તેથી માનસિક રીતે શિક્ષકો હેરાન થઈ રહ્યા છે.
પાલ, ભાઠેના, કતારગામ, બમરોલી, પુણા અને કોસાડમાં 50 બેડની હોસ્પિટલો કાર્યરત કરાઇ છે પરંતુ કાયમી સ્ટાફ ન મુકાતા સેવામાં વિલંબ પડી રહ્યો છે. ભાજપ કોર્પોરેટર દીનાનાથ મહાજને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માંગ કરી હતી. તાકીદે ભરતી કરી સ્ટાફ તૈનાત કરવા પર ભાર મુક્યો હતો. સ્ટેન્ડિંગ સભ્ય દીનાનાથ મહાજને જણાવ્યું કે, શહેરમાં 50 બેડની હોસ્પિટલની સુવિધાનો જરૂરિયાતમંદો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. સેવાનો વ્યાપ વધારવા તબીબી સ્ટાફની ઘટ દૂર કરવી જરૂરી છે. પાલ, ભાઠેના, કતારગામ, બમરોલી, પુણા અને કોસાડની હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટ પર તૈનાત કરાયેલો સ્ટાફ તપાસ કરતાં નોકરી છોડી જતો રહ્યો હોવાથી સારવારમાં વિલંબ પડી રહ્યો છે. ગણતરીના તબીબી કર્મીઓના લીધે દર્દીઓ લાંબી લાઇનમાં હેરાન થાય છે, જેથી તાકીદે સ્ટાફ ઘટ દૂર કરવા સમયસર તબીબી કર્મીઓની ભરતી કરવા પણ માંગ કરી હતી.
‘યહાં દુબારા દિખે તો ગાડી કે સાથ જલા દેંગે. જો ઉખાડના હે વો ઉખાડ લો. હમ તેરે કો છોડેગે નહીં’ આવી ધમકી આપી મુંબઈના બે યુવકે RTO ઈન્સ્પેકટર પર હુમલો કર્યો હતો. ઈન્સ્પેક્ટરે પાલ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે પ્રેમ સંજય ગાયકવાડ (23) અને સોમેલ વિજય ગાયકવાડ (22) (બંને રહે, સૂર્યમ હેરોઝન, પાલ, મૂળ મુંબઈ)સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ભાસ્કર ફર્સ્ટ પર્સનકાર પર લાત મારી અને કાચ પર મુક્કો માર્યોહું મારી કારમાં પાલ ગૌરવપથ પર જતો હતો ત્યારે મોપેડ પર જતા યુવકે ફુલસ્પીડમાં ઓવરટેક કરતાં ટક્કર લાગતા રહી ગઈ હતી. મેં હોર્ન મારી સાઇડ લેવા પ્રયાસ કર્યો તો ચાલકે સાઇડ આપી ન હતી. મેં મારી કાર આગળ લેતાં મોપેડચાલક અને પાછળ બેઠેલા યુવકે કારમાં લાત મારી હતી. આથી મેં કાર સાઇડ પર ઊભી રાખતાં બંનેએ આવી કાચ પર મુક્કો માર્યો હતો. હું નીચે ઉતરી નુકસાન થયું કે કેમ તે જોતો હતો ત્યારે બંનેએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. મને ડાબી આંખ અને ગાળાના ભાગે ઈજા થઈ હતી. >તુષાર બારીયા, RTO ઈન્સ્પેકટર
ભાસ્કર નોલેજ:ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા 135 ટીમ સર્વે કરશે
ભરૂચ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હોય છે અને આવા બાળકોને ફરીથી શાળાએ મોકલવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર શિક્ષા ભરૂચ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત 6 થી 18 વર્ષની વયજૂથના કદી શાળાએ ન ગયેલ અને શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા બાળકો કે, પોતાનું ધોરણ 1 થી 12 શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોને શોધવામાં આવશે. શિક્ષણ વિભાગે આવા બાળકોના વાલીઓને પણ અપીલ કરી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત 135 જેટલા સભ્યોની ટીમ શાળા બહારના તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલા બાળકોના સર્વેની કામગીરી હાથ ધરશે. તેમજ ત્યાં રખડતા, ભટકતા, ચા ની કિટલી પર કામ કરતા બાળકો જોવા મળે તો આ બાળકોને નજીકની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાણ કરી બાળકોના શિક્ષણ માં સહભાગી બનવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આવા બાળકોનું નજીકની કોઈ પણ માધ્યમિક શાળામાં જઈ રજીસ્ટ્રેશન વિના મૂલ્યે કરાવી શકાશે. ઉલેખનીય છે કે ગત વર્ષે સર્વે દરમિયાન શિક્ષણ વિભાગે કુલ 980 જેટલા કદી શાળાએ ના ગયેલ હોય અથવા તો અધવચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 56 બાળકોને સીધા ધોરણ-1 માં જ્યારે 300 જેટલા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મેઈન સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા. 653 બાળકોને જીએસઓએસ અંતર્ગત ધોરણ-9 અને 11 માં પ્રવેશ અપાવ્યો હતો. શહેરી વિસ્તારમાં અર્બન, સ્લમ પછાત એરિયામાં, રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો, ઝૂપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઇટ પર મંજૂરી માટે આવેલ પરિવારો વસતા હોય તેમના બાળકો સિનેમા ઘરોની આસપાસના વિસ્તારના. ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલ ના અંતરિયાળ વિસ્તારમાં સર્વે કરીને બાળકોને શોધવામાં આવશે. ત્યાર બાદ બાળકોનું શાળામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે.
રાજકોટથી શરૂ થયેલો ગુલાબી રીક્ષાનો પ્રોજેકટ આજે એકતાનગરમાં આદિવાસી બહેનો માટે રોજગારી તથા આત્મનિર્ભરતા બંનેનું મજબૂત સાધન બની રહ્યો છે તેમ કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસના રાજયકક્ષાના મંત્રી કમલેશ પાસવાને જણાવ્યું હતું. તેમની અધ્યક્ષતામાં એસએસ એનએલના કોન્ફરન્સ હોલમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પાસવાને નર્મદા જિલ્લાના એકતાનગરનાં સરદાર સરોવર નર્મદા નિગમ કોન્ફરન્સ હોલ ખાતે દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ની સમીક્ષા બેઠક કરી હતી. તેમણે એકતાનગરમાં ચાલી રહેલા પિંક રિક્ષા કોન્સેપ્ટની પ્રશંસા કરી જણાવ્યું કે રાજકોટથી શરૂ થયેલો આ પ્રયોગ એકતાનગરમાં આદિવાસી બહેનો માટે રોજગારી તથા આત્મનિર્ભરતા બંનેનું મજબૂત સાધન બની રહ્યો છે. વધુમાં તેમણે મનરેગા, લખપતિ દીદી યોજના, ડ્રોન દીદી પહેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામણી યોજનાઓના લાભાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી તેમના અનુભવ જાણી ખુશી વ્યક્ત કરી હતી. સ્વયંસહાય જૂથોની પ્રશંસા, મહિલા સ્વયંસહાય જૂથોની કામગીરીની વખાણ કરતાં તેમણે જણાવ્યું કે, લખપતિ દીદી અને ડ્રોન દીદી જેવી યોજનાઓ ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં અત્યંત અસરકારક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેસલાહ- સૂચના આપી કે લાભાર્થીઓ સુધી લાભ પારદર્શક અને સમયસર પહોંચે તે જોવા તાકીદ કરી હતી.
એરપોર્ટ પર પેરલલ ટેક્સી ટ્રેક પૂર્ણ થઈ ગયો છે. જો કે, ડીજીસીએએ ફાઇલ ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપી નથી, જેથી ફ્લાઇટના ઓપરેશન પર અસર પડી રહી છે. પેરલલ ટેક્સી ટ્રેક એ રનવેની બાજુનું અલગ ટ્રેક છે, જે ફ્લાઇટોને ક્રોસિંગ વિના ઝડપથી રનવે પર કે રનવે પરથી આગળ-પાછળ જવા બનાવાય છે. આ ટ્રેક લેન્ડિંગ અને ટેકઓફ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, એરપોર્ટની ક્ષમતામાં વધારો કરી ફ્લાઇટના સમયની બચત કરે છે. પીટીટીની મંજૂરીના અભાવે એરપોર્ટને નડતી સમસ્યાટેક્સી ટ્રેક વાપરી ન શકાતો હોવાથી ફ્લાઇટ રનવે પર અથવા હવામાં લાઇનમાં એટલે કે વેઇટિંગમાં મૂકવી પડતી હોય છે, જેના કારણે લેન્ડિંગ અને ટેકઓફમાં મોડું થાય છે. રનવે ઓક્યુપન્સી વધે છે અને ફ્લાઇટ્સ માટે સ્પષ્ટ મેન્યૂવરિંગ માર્ગ ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ફ્લાઇટ સલામતી માટે જોખમ ઉભું કરે છે અને ડીજીસીએના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે, જેના કારણે લિગલ અને ફાઇનાન્સીયલ રિસ્ક પણ ઊભો થાય છે. એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેક શા માટે જરૂરીપેરેલલ ટેક્સી ટ્રેક એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટેક્નિકલ ઘટક છે, જે રનવેની પેરેલલ લાઇન પર ફ્લાઇટ માટે જુદો ઍક્સેસ તરીકે ડિઝાઇન કરાયો છે. તે ફ્લાઇટને ક્રોસિંગ વિના રનવે પર એપ્રોચ અને ડિપાર્ટર માટે મેન્યૂવરને સુરક્ષિત રીતે કાર્યાન્વિત કરવા આપે છે, જેના કારણે રનવે ઓક્યુપન્સી ટાઈમ ઘટાડે છે અને એરપોર્ટ ઓપરેશનલ ક્ષમતા વધે છે.
સુરત અને વાપી ડીઆરઆઇએ સપ્તાહ અગાઉ રૂપિયા 22 કરોડનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પુરાવાના આધારે ખુલાસો થયો હતો કે આરોપીઓએ અગાઉ 2 કરોડથી વધુનાં સાત કન્સાઇન્મેન્ટ પણ સાઉથ ઇન્ડિયા મોકલ્યાં હતાં, જેમાં મોટાભાગનો માલ તેલંગાણા મોકલાયો હતો. આ માલ કોને સપ્લાય થયો છે એ અંગે વધુ માહિતી મેળવવા ટીમે સાઉથમાં પણ તપાસ શરૂ કરી છે. ડીઆરઆઇએ વલસાડ હાઇવે પર તપાસ કરીને 9.55 કિલો અલ્પ્રાઝોલમ (તૈયાર માલ) 104.15 કિલો અર્ધ તૈયાર અને 431 કિલો કાચો માલ ઝડપી પાડ્યો હતો, જેમાં નાઇટ્રોકલોરોબેઝિન ફોસ્ફોરસ, પેન્ટાસલ્ફાઇડ, ઇથાઇલ, એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં અશોક, ચંદ્રકાન્ત, કેતન અને એક સાઉથ ઇન્ડિયનનો છે. આરોપીઓ બંધ મકાનમાં ફેકટરી ચલાવતા હતા ત્યારે દરોડા પાડીને ધરપકડ કરી હતી. બાદમાં તમામને જેલ ભેગા કરાયા હતા. 1-1 કિલો માલથી શરૂઆતતપાસમાં સામે આવ્યું કે, સિન્થેટિક ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી ત્યારે કિલોના 20 લાખના ભાવે 1-1 કિલો માલ સાઉથ મોકલાતો. બાદમાં ઓર્ડર વધતા 4-5 કિલો સુધી મોકલાયા. દરોડા પડ્યા ત્યારે કાચા માલ સહિત 10 કિલો ઝડપાયું હતું. સાઉથમાં આ ડ્રગ્સને તાડીમાં ભેળવીને પીવામાં આવે છે. ભાસ્કર એક્સપર્ટકોર્ટના આદેશ બાદ ડ્રગ્સ ખુલ્લામાં બાળી નંખાઈ છેએજન્સીઓ જે માલ પકડે છે તેને જે તે સમયે તો યોગ્ય જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે અને તેના નિકાલની પ્રોસિજર માટે કોર્ટમાં અરજી કરવામાં આવે છે. કોર્ટના આદેશ બાદ સમગ્ર માલને ખુલ્લી જગ્યામાં બાળી નાંખવામાં આવે છે. જેમ પોલીસ કેસમાં દારૂનો નિકાલ કરવામાં આવે છે એવી જ રીતે ડીઆરઆઇ કે અન્ય એજન્સી ડ્રગ્સનો આ રીતે નિકાલ કરે છે. > વત્સલ કેતન રેશમવાલા,એડવોકેટ
વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃદ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
કોઠારિયા રોડ પરના વિસ્તારમાં રહેતા વૃદ્ધ કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આનંદનગર પાસે સાધના સોસાયટી શેરી નં.2માં રહેતા ગિરીશભાઈ મનસુખભાઈ પિત્રોડા નામના વૃદ્ધ પોતાના ઢેબર રોડ પર અટિકા ફાટક પાસે આવેલા દર્શન મેન્યુફેક્ચર નામના કારખાને હતા ત્યારે તેણે ઝેરી દવા પી લેતા વૃદ્ધની તબિયત લથડતાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ મામલે પોલીસમાં વૃદ્ધના પુત્ર જયેશે કરેલી અરજીમાં ચિરાગ છનાલાલ પટેલ, તેની પત્ની રીના પટેલ, મહેશ ગઢવી, કેવલ દફતરી અને અંકિત જીનોયા સહિતના પાંચ સામે કરેલ અરજીમાં જણાવ્યું હતું કે, ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા હતા. વર્ષ 2024માં વ્યાજ સહિત રકમ ચૂકવી દીધા છતાં સિક્યુરિટી પેટે આપેલ કોરો ચેક પરત ન આપી વધુ વ્યાજની માગણી કરતા હતા. પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી જઈ પગલું ભર્યું હોવાનું જણાવતા પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રેમીપંખીડાંનો આપઘાત:માલિયાસણ પ્રેમીના ઘરે પરિણીત પ્રેમીપંખીડાંનો સજોડે આપઘાત
શહેરના RTO પાછળ આવેલા નરસિંહનગર શેરી નં.1માં રહેતા મનીષભાઈ વધેરા(ઉ.વ.45) તથા મેઘમાયાનગર શેરી નં.4 આંબેડકરનગરમાં રહેતી તેની પ્રેમિકા કાન્તાબેન નરેશભાઈ રાઠોડ(ઉ.વ.42) બન્નેએ મનીષના માલિયાસણ ગામે દલિતવાસમાં આવેલા મકાને જઈ છતના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે યુવકની શોધમાં નીકળેલા પરિવારજનો દલિતવાસના મકાને જઈ તપાસ કરતાં બંનેને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 108ને જાણ કરતાં ઈએમટી સહિતનાએ બન્નેને તપાસી મૃત જાહેર કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પીએસઆઈ ડી.વી.ભગોરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષ અને કાન્તાને છેલ્લા ઘણા વર્ષથી પ્રેમસંબંધ હતો. મનીષને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે તેની પ્રેમિકા કાન્તાને એક પુત્રી અને પુત્ર છે. આપઘાત કરતાં પૂર્વે મનીષે તેના ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મને કોઈ ગોતવાની કોશિશ ન કરતા કહી ફોન મૂકી દીધો હતો. બાદ પરિવારે યુવકના ફોનના લોકેશન આધારે માલિયાસણ ગામ પહોંચ્યા હતા ત્યારે બન્નેએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં ઠંડી ચાલુ થતાં વહેલી સવારે તેમજ સાંજના સમયે કેટલાક લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. તો રાત્રિ દરમિયાન કેટલાક વિસ્તારમાં લોકો તાપણું પણ કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસમાં તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 22 થી 46 ટકા અને પવનની ગતિ વધી 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. ઉલેખનીય છે કે પવનની ગતિ ઓછી હોવાને કારણે ખેડૂતો ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે. સાથે કપાસ સહિતના જે પણ ઊભા પાક હશે તેમાં ખાતર નાખી શકશે. દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદમાં ડાંગર, તુવેર અને કપાસ સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.
દારૂનો મોટો જથ્થો પકડાયો:મેટોડા GIDC પાસેથી રૂ.68.32 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
મેટોડામાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 20,664 જેની કિંમત રૂ.68.32 લાખ સાથે હનિફ ઇલિયાસભાઈ જેડા(ઉ.વ.26, રહે. જામનગર ચકલી કાંટા પાસે, જોડિયા) તેમજ જાકીર કાસમભાઇ સંઘાર(ઉં.વ.26, રહે. જામનગર રામેશ્વર માટેલ ચોક, જી. જામનગર) બંનેને ઝડપી લીધા હતાં. દારૂનો જથ્થો રાજકોટના જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલાએ મગાવ્યો હોવાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
કામગીરીનો પ્રારંભ:અંકલેશ્વર-નેત્રંગ નેશનલ હાઇવેના મરામતની કામગીરીનો પ્રારંભ કરાયો
ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા મહત્વના માર્ગ પૈકીના એક અંકલેશ્વર - નેત્રંગ હાઇવેના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખરા માર્ગોબિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની તેમજ રીસર્ફેસિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાનવિભાગ રાજ્ય રાજપારડી નેત્રંગ રોડ પર પેવર પટ્ટાની કામગીરી અને અંકલેશ્વર- નેત્રંગ હાઈવે પર ડામરની કામગીરી કરવામાં આવી હતી. આ રસ્તો ખખડધજ હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં હતાં.
સંસ્કૃતાનુરાગીઓનો મહાસંગમ સંસ્કૃત ભારતીના અધિવેશનમાં જોવા મળ્યો હતો. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે નિમણૂકની ઘોષણા અખિલ ભારતીય અધિવેશન, કોઇમ્બતુર ખાતે કરવામાં આવી હતી. અધિવેશનમાં સૌરાષ્ટ્રપ્રાંતમાંથી 34 કાર્યકર્તા ગયા હતા. તેમાં 8 સંસ્કૃત પરિવાર પણ સામેલ હતા. સમગ્ર દેશ વિદેશમાંથી સંસ્કૃત પ્રેમીઓ, વિદ્વાનો, શિક્ષણવિદો, સંસ્કૃતિ રક્ષકો, સંસ્કૃત કુટુંબોએ ભાગ લીધો હતો. આ તકે ઉપાધ્યક્ષા તરીકે ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક કરાઇ. જે ગુજરાતમાં સંસ્કૃત ભારતીની શરૂઆતથી જ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલા છે અને તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અથાક પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત વર્ષ 2012થી 2024 સુધી તેમણે કેનેડામાં રહીને પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. વિદેશની ધરતી પર સંસ્કૃતના મૂલ્યો અને મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કરી તેમની આ સેવાઓએ સંસ્કૃત ભારતીના વૈશ્વિક વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્ત સેનાપતિજી, પ્રાંતમંત્રી પંકજભાઈ ત્રિવેદી, સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ, ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડિયા, વલ્લભભાઈ સીદપરા, કોષાધ્યક્ષ પંકજભાઈ પાંચાણી, પ્રાંત ગણના સદસ્યો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.
181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સહાય:તરછોડાયેલી મહિલા માનસિક અસ્વસ્થ, નારી ગૃહમાં મોકલાશે
એક જાગૃત નાગરિક દ્વારા 181 પર ફોન આવ્યો કે, એક મહિલાને મકાન માલિકને ભાડું ન ચૂકવતા કાઢી મૂકી છે અને તેના પરિવારમાં પણ કોઈ છે નહીં માટે મદદની જરૂર છે. તેથી તાત્કાલિક જેતપુર સ્થિત 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મહિલાને સૌ પ્રથમ સાંત્વના સહ આશ્વાસન આપી ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં પીડિતા જણાવે છે કે, હું એકલી ભાડે રહું છું અને પરિવારમાં માતા-પિતાનો છાયો ગુમાવી દીધો છે અને 18 વર્ષનો ભાઈ હોય પરંતુ તે અલગ રહે છે. વધુમાં તેમનાં લગ્ન પણ થયા હતા જે માત્ર દસ દિવસની અંદર છૂટા થઈ ગયાનું જણાવ્યું હતું. પીડિતાને તેમના ભાઈ સાથે રહેવા માટે સમજાવતા તેમને ત્યાં રહેવું ન હોય, આથી સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતગાર કરી હાલ પીડિતાની સુરક્ષા, સલામતી માટે આશ્રયની જરૂરિયાત જણાતા સખી વન સ્ટોપ સેન્ટર ગોંડલ ખાતે આશ્રય અપાયો છે. 181 ટીમના કાઉન્સેલર જિજ્ઞાસાબેન તેમજ WHC રેખાબેન અને પાઇલટ પીયૂષભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમના કાઉન્સેલર જિજ્ઞાસાબેનએ જણાવ્યું હતું કે, ત્યાંના સ્થાનિકો સાથે વાત કરતા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ 2-3 મહિનાથી જ ભાડે એકલા રહેતા હતા, પરંતુ તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આજુબાજુમાં ચોરી કરે તથા પુરુષોની પણ અવરજવર રહેતી હતી. તેથી મહિલાઓનું માનસિક સંતુલન ઠીક ન હોવાથી તેઓને ગોંડલ પાસેના માનસિક સુધાર આશ્રમ અથવા રાજકોટના નારી ગૃહ ખાતે મોકલાશે.
લગ્નની સિઝન શરૂ:જાન્યુઆરી મહિનામાં શુક્રનો અસ્ત તથા પુરુષોત્તમ માસ હોવાથી મુહૂર્ત ઓછા
દેવદિવાળી બાદ લગ્નના મુહૂર્તોની શરૂઆત થતી હોય છે ત્યારે આજથી તા.16 નવેમ્બરના રોજ લગ્નની સિઝનની શરૂઆત થાય છે. ગયા વર્ષે પણ 16 નવેમ્બરથી લગ્નનું પહેલું મુહૂર્ત હતું. શહેરોની મુખ્ય બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લગ્નની સિઝન આવવાથી જુદી-જુદી ફેશન અને ટ્રેન્ડના વસ્ત્રો, જ્વેલરી માર્કેટ, પાર્ટી પ્લોટ, હોલ, કેટરર્સ, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, મહેંદી આર્ટિસ્ટ સહિતના વિવિધ ક્ષેત્રોની રોનક વધી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા મુહૂર્તો જોવા મળે છેેેેેેેેેેેેેેેે. જેમાં ગયા વર્ષે 69 લગ્નના મુહૂર્ત હતા જે આ વખતે 59 મુહૂર્ત છે. જેમાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શુક્રનો અસ્ત છે તથા ઉનાળામાં પુરુષોત્તમ માસ છે તેથી 10 જેટલા મુહૂર્ત ઓછા છે. આ ઉપરાંત કમુરતાં પહેલાં નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં માત્ર 11 મુહૂર્ત જોવા મળે છે. આ વર્ષે આગામી તા.23 જાન્યુઆરીના દિવસે વસંતપંચમી છેે, પરંતુ આ સમયે શુક્ર ગ્રહનો અસ્ત હોવાથી આ દિવસે પણ લગ્નનું મુહૂર્ત નથી. આ વર્ષે ફેબ્રુઆરી માસમાં વધારે મુહૂર્ત જોવા મળે છે. જ્યારે સૌથી ઓછા મુહૂર્ત ડિસેમ્બર માસમાં જોવા મળે છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, તા.15 ડિસેમ્બરથી ધનારક કમુરતાં બેસે છે અને 11 ડિસેમ્બરથી આખા જાન્યુઆરી માસ દરમિયાન શુક્ર ગ્રહનો અસ્ત હોવાથી જાન્યુઆરી માસમાં એક પણ લગ્નનું મુહૂર્ત નથી. આ વખતે ઓછા મુહૂર્ત હોવાથી જેના લગ્ન હોય તેના માતા-પિતા કે પરિવારની દોડધામ વધી ગઇ છે. તેમજ વાડી, હોલ કે પાર્ટી પ્લોટ અગાઉથી બુકિંગ થઇ જતા હોય છે ત્યારે અમુક પરિવારોને વેઇટિંગમાં પણ રહેવું પડતું હોય છે. આગામી તા. 19 એપ્રિલના દિવસે અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો દિવસ કહેવાય તેથી આ દિવસે પણ લગ્ન થઇ શકશે. ફેબ્રુઆરીમાં સૌથી વધારે મુહૂર્ત વસંતપંચમીના દિવસે લગ્નનું મુહૂર્ત નહીં
શહેરમાં એક યુવકે પોતાનું ગીરવે પડેલું સોનું વેચવા માટે ઈન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઈને અમદાવાદની સોનાની પેઢીના સંચાલકનો સંપર્ક કરી તેના કર્મચારીને રાજકોટ બોલાવ્યો હતો. જોકે કર્મચારીએ અહીં ગીરવે પડેલું સોનું છોડાવી હોટેલ જઈને જોતાં હોલમાર્ક ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુવકે પણ હાથ ઉંચા કરી દેતા 2.50 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ બનાવમાં અમદાવાદ રામદેવ જ્વેલર્સમાં નોકરી કરતાં મહેન્દ્રભાઈ અમથાજી પરમાર નામના યુવકે રાજકોટ રહેતા હરદીપસિંહ જાડેજા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 3/11ના તેઓ અમદાવાદ ખાતે નોકરી ઉપર હાજર હતા ત્યારે શેઠ ગોપાલસિંહ રાજપૂત દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ મારફતે આપણી જાહેરાત જોઈને ઇન્દ્રજિતસિંહ વાઘેલા નામના રાજકોટ રહેતા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને બેકમાંથી સોનું છોડવાનું છે. જે બાદ ઇન્દ્રજિતસિંહ વાઘેલાએ તારીખ 11/11ના મહેન્દ્રભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તેના મિત્ર હરદીપસિંહ જાડેજાની સોનાની બંગડીઓ રાજકોટ સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ આઈઆઈએફએલમાં ગીરવે પડી હોય જે છોડવાની છે. મહેન્દ્રભાઈ રાજકોટ આવતા તેઓનો સંપર્ક હરદીપસિંહ જાડેજા સાથે થયો હતો ત્યારે હરદીપસિંહે કહ્યું કે, ગીરવે પડેલી બંગડીઓનો કુલ વજન 53 ગ્રામ છે, જેમાંથી 10 ગ્રામ રબર બાદ કરતા 43 ગ્રામ સોનું છે અને આ બંગડી ચાર લાખમાં વેચવાની છે. મહેન્દ્રભાઈએ બંગડી ખરીદવા માટે રૂ.3.52 લાખ બેંક મારફતે આઈઆઈએફએલમાં જમા કરાવ્યા હતા. તેમજ વધારાના 48 હજાર રોકડ આપેલ અને બંને બંગડીઓ હોલમાર્ક જોઈને ખરીદી હતી. રાજકોટ હોટેલ પર પરત આવતા મહેન્દ્રભાઈને હોલમાર્ક ઉપર શંકા ગઈ હતી. જેથી તેઓએ ફરીથી અમદાવાદ સ્થિત પેઢીમાં ચેક કરાવતા હોલમાર્ક ખોટું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હરદીપસિંહ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, બંને બંગડીઓ લગ્નમાં આવી છે હવે તમે બંગડી લઈ લીધી છે તો તમારે જોવાનું. જોકે પરીક્ષણ કરતા સામે આવ્યું હતું કે, બંગડીમાં કુલ 1.50 લાખની કિંમતનું જ સોનું હોય બાકીનું ભેળસેળ હોવાનું ખુલ્યું હતું. આથી યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી હરદીપસિંહ જાડેજા વિરુદ્ધ અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના કર્મચારીની રાજકોટના યુવક સામે ફરિયાદ
બીએલઓ શિક્ષકોની બબાલ:SIRની કામગીરીમાં જિલ્લાના 1500 શિક્ષક હોવાથી શિક્ષણ કાર્યને અસર
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (BLO – બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં શિક્ષકોને મૂકવા સામે તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહાસંઘે તા. 15-11એ સાંજે 4 કલાકે કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થી શિક્ષકો અને શિક્ષણ ને અસર થતા મેદાન પર ઉતર્યા છે. આથી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને થતા અન્યાયના મુદ્દે શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શિક્ષક મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ગુલામી પ્રથા જેવું વર્તન, બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત બીએલઓની કામગીરી માટે જિલ્લાના 1500થી પણ વધારે શિક્ષક જોડાયેલ છે. આ કામગીરી 90 ટકાથી વધારે શિક્ષકોને જ હુકમ આપવામાં આવે છે. જે બાબત પણ શિક્ષકોમાં ભારે રોષ પેદા કરી રહી છે. આગામી સમયમાં અન્ય 12 કેડરમાંથી પણ બીએલઓની કામગીરીની વહેંચણી કરવા બાબતે પણ રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણને કારણે રાજ્યમાં બીએલઓની ધરપકડ થવાના બનાવો પણ નોંધાયા છે. જે અત્યંત ગંભીર બાબત છે. આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના તમામ સંવર્ગના કાર્યકર્તાઓ તેમજ બીએલઓ તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પરિણીતાને ત્રાસ આપતા રાવ:પતિને પરસ્ત્રી સાથે રંગે હાથ પકડતા પરિણીતાને માર મારી તરછોડી દીધી
રાજકોટની યુવતી અરવલ્લી સાસરે હોય ત્યારે પતિને અન્ય સ્ત્રી સાથે રંગે હાથ પકડી પાડતા તેણીને માર મારવામાં આવ્યો હતો. પરિણીતાએ સાસરિયાંઓને પણ આ અંગે વાત કરતા તેઓએ પુત્રનો સાથ આપી ત્રાસ ગુજાર્યો હતો. બનાવ અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની વિગતો મુજબ, હાલ ભીલવાસ શેરી નંબર 4માં માવતરના ઘરે રહેતી 35 વર્ષીય શહેનાઝબેન સદ્દામભાઈ ખાટકીએ મહિલા પોલીસ મથકમાં પતિ, સસરા ઇબ્રાહીમભાઈ, સાસુ નસીમબેન અને ફઈજી શઈદુબેન કારવા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું, વર્ષ 2014માં અરવલ્લીના મેઘરજ ગામે રહેતા સદ્દામ સાથે લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ સુધી સંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યો હતો જે બાદ શહેનાઝબેનને તેના સાસુ-સસરા ઘરકામ બાબતે મેણાંટોણાં મારીને ત્રાસ આપતા હતા. પાંચ વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં તેઓ રહ્યા હતા દરમિયાન પતિ સદ્દામને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેનો વિરોધ કરતા સાસરિયાં અને પતિ મારકૂટ કરતા હતા. રાજકોટ રહેતા ફઇજી સાસુ પણ અવારનવાર રોકાવા આવીને સદ્દામને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા હતા. જોકે ઘર સંસાર ચલાવવો હોય જેથી શહેનાઝબેન બધું સહન કરતા હતા. આઠ મહિના પહેલાં સદામને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં રંગે હાથ પકડી લેતા તેણે શહેનાઝબેનને માર માર્યો હતો. આ અંગે સાસરિયાંને વાત કરતાં તેઓએ પણ પુત્રનો સાથ આપ્યો હતો. જે બાદ બે મહિના સુધી બાળકો સાથે પરિણીતા એકલી રહી પણ પતિ ઘરે ન આવતા તે રાજકોટ માવતરના ઘરે આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા જિલ્લામાં 6થી 18 વર્ષની શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરાશે. જેમાં 30-11-2025 સુધી જિલ્લામાં ધો.1થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા મૂકનાર અને દિવ્યાંગ સહિત બાળકોનો સર્વે કરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર શિક્ષણ અંતર્ગત 6થી 18 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શોધવા સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભરમાંથી ધો.1થી 12 સુધીનું કદી શિક્ષણ મેળવેલ નથી તેવા અને ધો.12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે જિલ્લાની તમામ શાળા મારફત હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લા ભરના દરેક તાલુકામાં તા.14-11-2025થી 23-11-2025 સુધી આ સર્વેમાં કરવામાં આવનાર છે. જે 30-11-2025 સુધીમાં જેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ અને જાહેર જનતાને સહભાગી થઇ આવા બાળકોને શિક્ષણમાં જોડવા અભિયાન હાથ ધરાશે. આથી આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, સીઆરસી કો-ઓર્ડીનેટર, તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર અથવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરીને કચેરી સમય દરમિયાન લેખિત, મૌખિક અથવા ટોલ ફ્રી નં. 1800-233-3153 ઉપર ટેલિફોનીક જાણ કરવા અનુરોધ કરાયો છે.
મોંઘી કાર હોવા છતાં સમયસર સર્વિસ ન મળતા રાજકોટમાં એક કાર માલિકે અનોખી રીતે વિરોધ કર્યો છે. દોઢ વર્ષ પહેલાં આશરે રૂ.2 કરોડ 30 લાખમાં ખરીદેલી કારમાં થયેલી સમસ્યાઓ અંગે અનેક વાર શોરૂમમાં રજૂઆત કરવા છતાં યોગ્ય સર્વિસ ન મળતાં માલિકે પોતાની કારને બળદના ગાડા સાથે બાંધીને સીધા શોરૂમ સુધી લઈ ગયા. કાર માલિકના જણાવ્યા મુજબ, કારમાં આવેલા ફોલ્ટ અંગે કંપની પાસે લેખિત બાંહેધરી માગવામાં આવી હતી, પરંતુ સંતોષકારક નિવારણ ન મળ્યું. વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ પગલું ન ભરાતા વિરોધ સ્વરૂપે આ પગલું ભરવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું. તસવીર: પ્રકાશ રાવરાણી
હાલ વધતા જતા વાહનો, ઇન્ડસ્ટ્રીઝ, શહેરીકરણને લઇ મોટા શહેરોની હવા પ્રદૂષિત બની રહી છે. જેમાં હવે સુરેન્દ્રનગર જેવા નાના વિકસતા શહેરો પણ બાકાત નથી. હવામાં પ્રદૂષણનું પ્રમાણ (AQI) જો 0 થી 50 આંકની વચ્ચે હોય તો તેને ગ્રીન એલર્ટ મતલબ સારું ગણવામાં આવે છે. જયારે 51 થી 100 હોય તો મધ્યમ જેને યલ્લો એલર્ટ, 101 થી 150 સુધીનું હોય તો બિનઆરોગ્યપ્રદમાં આવે છે જેને ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ ઉપરાંત જો 151થી 200 હોય તો બિનઆરોગ્યપ્રદ રેડએલર્ટ કહેવાય, 201 થી 300 હોય તો અતિ બિનઆરોગ્યપ્રદ પર્પલ એલર્ટ, 300થી 500 હોય તો તેને મરુન એલર્ટ એટલે કે જોખમકારક ગણવામાં આવે છે.જિલ્લામા છેલ્લા કેટલાક દિવસો પહેલા સુધી, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેસનના કારણે વરસેલા પાછોતરા વરસાદે માત્ર ગરમીમાં જ ઘટાડો નહોતો કર્યો પરંતુ હવાની ગુણવત્તામાં પણ ધરખમ સુધારો કર્યો હતો. વરસાદ પૂર્વે સામાન્ય દિવસોમાં 120થી 125ની આસપાસ રહેતો AQI, વરસાદના કારણે ઘટીને માત્ર 57 સુધી પહોંચી ગયો હતો. ભેજવાળા વાતાવરણ અને વરસાદે વાહનોના ધુમાડા, ધૂળ અને કાર્બન કણો જેવા પ્રદૂષકોને જમીન પર બેસાડી દીધા હતા, જેના કારણે હવા શુદ્ધ થઈ હતી અને પ્રદૂષણ મધ્યમ ગ્રીન કેટેગરીમાં આવી ગયું હતું. જોકે, વરસાદ બંધ થતાં જ અને વાતાવરણ ફરી શુષ્ક બનતાની સાથે જ પ્રદૂષકોએ હવામાં પોતાનું સામ્રાજ્ય પુન:સ્થાપિત કર્યું છે. વરસાદ વખતે 100 ટકા પહોંચેલ ભેજ હાલ 50 ટકા જેટલો રહ્યો છે. આથી આંકડો હવે વધીને 127 નોંધાયો છે. પ્રદૂષણ વધુ જણાય તો બહાર નીકળો ત્યારે માસ્ક કે રુમાલનો ઉપયોગ કરવોશિયાળામાં શ્વાસના દર્દીને મુશ્કેલી રહે છે. ઠંડી ઋતુમાં ફેફસા સંકોચાય કોઇને એલર્જી હોય તો હવા પાતળી થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય. ઠંડીમાં સ્નાયુ સંકોચાતા શ્વાસની તકલીફ હોય તો તાત્કાલીક ઠંડીમાં ન જવું. નિયમિત રીતે દવા લેવી. જો પ્રદૂષણવાળું વાતાવરણ હોય તો રૂમાલ - માસ્કનો ઉપયોગ કરવો. જોગિંગ - વોકિંગ ખૂલ્લી જગ્યામાં કરવું. ધુમ્રપાન ના કરવું.જો વધારે તકલીફ જણાય તો સારવાર લેવી જોઇએ. { બી.જી.ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી શિયાળામાં ધૂમ્મસના કારણે ધુમાડો નીચે રહેશિયાળામાં ભેજ અને ધૂમ્મસના કારણે સવારે ધૂમ્મસ જેવું વાતાવરણ રહેતા કાર્બન ઉત્સર્જન ડીસ્પોઝલ ન થતા તે નીચે રહેતા આવી એક્ટિવિટી થાય છે. આમ વધતા ભેજ અને શુષ્ક વાતાવરણ વચ્ચે ધુમાડો હવામાં ભળી રહેતા સ્વાસ્થયને નુકશાનકારક ધુમાડો નીચે રહે છે. { સી. એન. દસાડીયા, વિજ્ઞાન શિક્ષક શ્વાસના દર્દીઓમાં 10થી 12 ટકા વધારો થાયહાલ જિલ્લામાં 108માં નિયમિત કરતા એકથી દોઢ ગણા શ્વાસના દર્દીઓનો વધારો રહે છે. જેમાં રોજના 9 થી 10 કેસ સામે આવે છે. જેમાં અંદાજીત 10 થી 12% જેટલો શિયાળાના દિવસોમાં વધારો થાય છે. { રોહિત મકવાણા, 108ના જિલ્લા મેનેજર
સન્ડે ફોટો સ્ટોરી:કાલાવડ રોડ પરનું આ સર્કલ ગેરકાયદે છે, પણ તોડી શકે તેવા કોઇ જાંબાઝ અધિકારી નથી
કાલાવડ રોડ પર કોટેચા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ તરફ કોઇ વાહનચાલક નીકળે તો તેઓને એક અલગ પ્રકારનું જ, ટ્રાફિકને અડચણ થાય તેવું અને અકસ્માત નોતરે તેવું સર્કલ જોવા મળશે. આ સર્કલ જીપીએમસી એક્ટ મુજબ પણ ખોટી રીતે ખડકી દેવાયું છે. આ સર્કલ સંદર્ભે મહિલા કોલેજ અન્ડરબ્રિજથી રૈયા રોડ સુધીની સોસાયટીમાં રહેતા લોકોએ પણ અનેક વખત રજૂઆત કરી છે. આમ છતાં કોઇ ઉકેલ આવતો નથી. સામાન્ય વ્યક્તિ કોઇ સામાન્ય ભૂલ કરે ત્યારે કાયદા મુજબ કાર્યવાહીનો આગ્રહ રાખતા સરકારી અધિકારીઓ આ સર્કલ ગેરકાયદે હોવા છતાં તોડી શકતા નથી. ત્યારે અહિંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે, માત્ર સામાન્ય લોકો સામે જ કાર્યવાહી કરતા ક્લાસ-1 અને સુપર ક્લાસ-1 અધિકારીઓને જાંબાઝ કરી શકાય ? જો હા, તો તેઓએ આ સર્કલ તોડી નાખવું જોઇએ. 14 નવેમ્બર, 2024ના રોજ પૂર્વ મ્યુનિ. કમિશનરે તોડવાનો હુકમ કર્યો હતોરાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દેસાઇના હુકમથી કાલાવડ રોડ પરનું આ અટપટું અને વિચિત્ર સર્કલ તોડી નાખવાનો 14 નવેમ્બર, 2024ના રોજ સિટી એન્જિનિયરે હુકમ કર્યો હતો. જો કે આ હુકમને આજે 1 વર્ષથી વધુનો સમય પસાર થઇ ગયો છે, પરંતુ કોઇ કારણોસર મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસેનું આ સર્કલ તોડાતું નથી.
સન્ડે બિગ સ્ટોરી:3 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા, હવે RTIમાં ખુલાસો થયો કે ફરજિયાત નથી
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ સૌરાષ્ટ્રભરમાં યુદ્ધના ધોરણે લગભગ 3 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવી દેવાયા બાદ એક RTI (માહિતી અધિકાર કાયદા)માં થયેલા ખુલાસાએ વીજગ્રાહકોમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. PGVCLના જ અધિક્ષક ઈજનેરે RTIના જવાબમાં સ્વીકાર્યું છે કે, સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી, તેમજ જૂના ચાલુ મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવા અંગે કોઈ ચોક્કસ ગાઈડલાઈન કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. આમ, કંપનીએ લાખો ગ્રાહકોના ઘરે મીટર બદલી નાખ્યા પણ તેની પાસે ફરજિયાતપણાનો કે ગાઈડલાઈનનો કોઈ આધાર જ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી કંપનીની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખંભાળિયાના દામાભાઈ ચૌહાણે કરેલી આરટીઆઈના જવાબમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી કે.એન.કરમુરે વિગતો આપી છે. સૌરાષ્ટ્રમાં વીજવિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા પીજીવીસીએલ દ્વારા ઝડપથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં આશરે 3 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં સ્માર્ટ મીટર બદલવાના કિસ્સાઓ નોંધાયા છે. અનેક ગ્રાહકોના જણાવ્યા મુજબ, પૂર્વ જાણ કર્યા વિના જ તેમના મીટર બદલી નાખવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ વિદ્યુત કર્મીઓએ મૌખિક રીતે ‘મીટર ફરજિયાત બદલવાનો ઓર્ડર છે’ એવું કહીને જૂના મીટરને બદલે સ્માર્ટ મીટર નાખી દીધા હતા.સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ગ્રાહકોની ધરાર મીટર બદલી નાખવાની ફરિયાદો સામે આવી છે. ઘણા વિસ્તારોમાં ગ્રાહકોના જૂના મીટર બિલકુલ યોગ્ય હોવા છતાં, PGVCLના સ્ટાફે ‘ઉપરથી આદેશ છે’, ‘ફરજિયાત છે’ કહીને મીટર બદલી નાખ્યાના કિસ્સા નોંધાયા છે. નવા સ્માર્ટ મીટર લાગ્યા બાદ અનેક ગ્રાહકોને અસામાન્ય રીતે ઊંચા વીજબિલ આવવાની ફરિયાદો સામે આવી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ છે. સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મીટરના નામે ચાલી રહેલી ગેરસમજ અને વિવાદો વચ્ચે PGVCLના જ RTI જવાબથી સ્પષ્ટ થયું છે કે, મીટર બદલવું ફરજિયાત નથી. ત્યારે, કંપની ક્યા આધારે લાખો ગ્રાહકોના મીટર બદલી રહી છે તે એક મોટો સવાલ છે. સ્માર્ટ મીટર લગાવવાની ચર્ચા અને નિર્ણય વિધાનસભામાં થઇ ગયો છેસ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ચર્ચા અને નિર્ણય વિધાનસભામાં થઇ ગયો છે અને ત્યારબાદ જ રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અરજદારે કરેલી આરટીઆઈમાં જવાબમાં અધિકારીએ જે કહ્યું છે તે બરાબર છે. સ્માર્ટ મીટર ફરજિયાત હોવાનો હુકમ કોર્ટ ન કરે તે વિધાનસભામાં નિર્ણય થયો છે. ગ્રાહકોમાં સ્માર્ટ મીટર અંગે જાગૃતિ આવે તેના માટે ડિસેમ્બરમાં અમે સૌરાષ્ટ્રભરમાં જાગૃતિ કાર્યક્રમો પણ કરવાના છીએ. > કે.પી. જોષી, મેનેજિંગ ડિરેક્ટર, પીજીવીસીએલ પીજીવીસીએલના જ એક ગ્રાહકે RTIમાં માગેલી માહિતીનો વીજકંપનીના અધિક્ષક ઈજનેરે આપેલો જવાબ શબ્દશઃ 1. ગ્રાહકના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા પીજીવીસીએલને આપેલ નથી તેથી તેની નકલ ઉપ્લબ્ધ નથી. 2. ચાલુ જૂના મીટરની જગ્યાએ નવું સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે તેવી કોઈ ગાઈડલાઈન કે હુકમ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપેલ નથી. તેથી તેના હુકમની ખરી નકલ ઉપ્લબ્ધ નથી. 3. જૂના મીટર ચાલુ હોય અને તેની જગ્યાએ નવા સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે તેવો ગ્રાહક સુરક્ષા અધિનિયમનો કોઈ હુકમ આવેલ નથી. તેથી તેના હુકમની ખરી નકલ ઉપ્લબ્ધ નથી. કિસ્સો-1 | ફ્લેટ, દુકાનોમાં બારોબાર સ્માર્ટ મીટર લગાવી દેતા દેકારો થયો’તોશહેરના કેટલાક ફ્લેટમાં નીચે ફિટ કરાયેલા જૂના મીટરની જગ્યાએ ગ્રાહકોને પૂછ્યા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવાતા દેકારો થયો હતો. આ ઉપરાંત શહેરના કેટલાક કોમર્સિયલ કોમ્પ્લેક્સમાં પણ જ્યાં એકસાથે બધી દુકાનોના મીટર લગાવેલા હોય છે ત્યાં ગ્રાહકને જાણ કર્યા વિના સ્માર્ટ મીટર ફિટ કરી દેવાના પ્રયાસનો પણ ગ્રાહકોએ વિરોધ કર્યો હતો. સોલાર ગ્રાહકોને તો હાલ ફરજિયાત પણે સ્માર્ટ મીટર જ ફિટ કરી દેવામાં આવે છે તેની સામે પણ ઘણા ગ્રાહકોએ વાંધો ઉઠાવ્યો છે. કિસ્સો-2 | વીજગ્રાહકને ઘેર વીજળી ગુલ થઇ, સ્ટાફે કહ્યું,‘સ્માર્ટ મીટર લગાવશો તો જ લાઈટ આવશે’‘લક્ષ્મીવાડી વિસ્તારમાં એક વીજગ્રાહક સાથે PGVCLની તાનાશાહી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રાહકના ઘરે વીજમીટરમાં ખામી થતાં સ્ટાફ મીટર બદલવા પહોંચ્યો હતો, પરંતુ સીધું જ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા માટે દબાણ કરાયું. સ્ટાફે આવીને કહ્યું,‘મીટર ખરાબ છે, હવે સ્માર્ટ મીટર લગાવશો તો જ લાઈટ આવશે’ ગ્રાહકે વિરોધ કરતાં સ્પષ્ટ કહી દીધું કે,‘લાઇટ ન આવે તો ચાલશે, પણ હું સ્માર્ટ મીટર નહીં નખાવું’. રાત્રે લાઇટ ગુલ થતા PGVCLમાં ફરિયાદ નોંધાવી હતી. સ્ટાફે આવીને મીટરમાં ખામી હોવાનું જણાવી મીટર બદલવાની વાત કરી, પરંતુ પછી સ્પષ્ટ કહી દીધું કે,‘સ્માર્ટ મીટર નખાવો નહીં તો લાઈટ નહીં મળે.’ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોજ આશરે 1000 સ્માર્ટ મીટર ફિટ કરાય છે: ફરજિયાત હોવાનું કહી વીજકર્મીઓ ધરારથી સ્માર્ટ મીટર લગાડી દે છે
અપમૃત્યુનો બનાવ:રિવરફ્રન્ટ રોડ પર રેલવે ઓવરબ્રિજ પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત
સુરેન્દ્રનગરમાં અવારનવાર અપમૃત્યુના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવો વધુ એક બનાવ શનિવારે બનવા પામ્યો હતો. જેમાં શનિવારે સવારના સમયે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજ પર ટ્રેનની અડફેટે એક યુવાન આવી જતા યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. જ્યારે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃકના મૃતદેહનો કબજે લઇ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે આ યુવાન કોણ હતો તેમના પરિવારજનો કોણ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
ફરિયાદ:શિનોરના કંજેઠા ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા બાબતે ઝઘડો કરી હુમલો કરતા ચારને ઈજા
શિનોર તાલુકાના કંજેઠા ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા બાબતે ઝઘડો થતાં સાત આરોપીઓ સામે ફરિયાદીએ શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. વડોદરા દવાખાનેથી ફરિયાદી અનિરુદ્ધ ઉર્ફે, અનિલ ઉર્ફે અનુભાઈ દેવેન્દ્ર અટોદરીયા દ્વારા લખાવેલ ફરિયાદ મુજબ તેઓ તારીખ 14 નવેમ્બરે અંબાલી જવાના રોડ ઉપર અરજણિયા તરીકે ઓળખાતા ખેતરમાં સાહેદ જયરાજ રણા તથા વછરાજસિંહ રણા સાથે ખેતીમાં ઘઉં બાબતે ચર્ચા કરતા હતા. ત્યારે જીતસિંહ રામસિંહ શિનોરા ખેતરમાં આવીને જેમતેમ ગાળો આપી જણાવેલ કે જવાનો રસ્તો બંધ કર્યો હોવાથી ટ્રેક્ટર લઈને જતા મારા દીકરાને મધમાખી કરડે છે. આ રસ્તો ખુલ્લો કરી દે નહીં તો જોવા જેવી થશે. એમ કહીને જતો રહ્યો હતો. ત્યારબાદ જીતસિંહ તથા મહેન્દ્રસિંહ રામસિંહ, સત્યજીત મહેન્દ્રસિંહ, રણજીત રામસિંહ, યશપાલ જીતસિંહ, વિરાજસિંહ મહેન્દ્રસિંહ અને અનિરુદ્ધ મહેન્દ્રસિંહ હાથમાં ધારીયા, લોખંડની પાઇપો અને લાકડીઓ લઈને ખેતરે આવી તેઓને મારવા લાગ્યા હતા. તે વખતે છોડાવવા માટે જયરાજ તથા વછરાજસિંહ વચ્ચે પડતા તેઓને પણ માર્યા અને મહાવીર દેવેન્દ્રસિંહને પણ માર્યા હતા. જતાં તેઓ લાલ વેગન આર અને નાનું સ્વરાજ ટ્રેક્ટર લઈને ભાગી ગયા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અનુભાઈ અટોદરીયાએ ગામમાં મહાવીરસિંહ, હંસરાજસિંહ તથા વિશ્વજીતસિંહને જાણ કરતા તેઓએ આવીને અમોને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી જીતસિંહ તથા અનિરુદ્ધ અને વછરાજ સિંહને વડોદરા ખાનગી મંગલમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મારામારી દરમિયાન ગળાની ચેન ગુમ થયેલ છે. શિનોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકાસા એર લાવશે પ્રથમ વાણિજ્યિક ઉડાન:નવી મુંબઈનું આં.રા. એરપોર્ટ 25 ડિસેમ્બરથી ધમધમતું થશે
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ) 25 ડિસેમ્બર, 2025થી સત્તાવાર રીતે વાણિજ્યિક ઉડાનો માટે ખુલ્લો મૂકાશે. અકાસા એર આ નવા એરપોર્ટ પર પહેલી ઉડાન કરશે, જે દિલ્હીથી નવી મુંબઈ પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરના એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને એનએમઆઈએ દેશનું એક મહત્વપૂર્ણ હવાઈ હબ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનએમઆઈએ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. કુલ 1,160 હેક્ટર વિસ્તારમાં બનેલો આ એરપોર્ટ પ્રથમ તબક્કામાં દર વર્ષે 2.5 કરોડ મુસાફરોને સેવા આપી શકશે, જ્યારે તમામ તબક્કા પૂર્ણ થયા પછી તેની ક્ષમતા 90 મિલિયન મુસાફરો સુધી પહોંચશે. એરપોર્ટમાં દરરોજ 60 થી 300 જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ થશે. એરપોર્ટના વિકાસમાં અદાણી ગ્રુપ 74% અને સીડકો 26% હિસ્સો ધરાવે છે. એનએમઆઈએનું નામ ખેડૂત નેતા ડી. બી. પાટિલ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે નવી મુંબઈ જમીન સંપાદન સમયે વિસ્થાપિત ખેડૂતોના હક્કો માટે મહત્વપૂર્ણ લડત લડી હતી. મુંબઈ–નવી મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં વધતી મુસાફરોની સંખ્યા અને ભીડભાડને ધ્યાનમાં રાખી એનએમઆઈએ મુંબઈ એરપોર્ટનો ભાર હળવો કરશે અને પશ્ચિમ ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવા આયામ આપશે. એઅરલાઈન્સની શરૂઆતઅકાસા એર, ઇન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આગળ - 25 ડિસેમ્બરથી અકાસા એર દિલ્હી–નવી મુંબઈ રૂટ પર પ્રથમ વાણિજ્યિક ઉડાન શરૂ કરશે. તે જ દિવસે ગોવા રૂટ પર પણ ઉડાનો શરૂ થશે. 26 ડિસેમ્બરથી દિલ્હી–કોચી અને 31 ડિસેમ્બરથી અમદાવાદ માટે જોડાણ શરૂ થશે. અકાસા એર પ્રથમ દોરમાં ચાર મુખ્ય શહેરોને એનએમઆઈએ સાથે સીધા જોડશે.
પોલીસો દ્વારા સતામણી કર્યાનો પણ આરોપ:મહિલાઓ સામે જાતિવાચક ટિપ્પણી કરનાર પોલીસો વિરુદ્ધ એફઆઈઆર
એક ગુમ મહિલાના કેસની તપાસ દરમિયાન બે મહિલા વિરુદ્ધ જાતિવાચક ટિપ્પણી અને હુમલો કરવાના આરોપ બાદ પુણેની કોર્ટે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના ઓગસ્ટમાં બની હતી. બેમાંથી એક મહિલાએ તેની સતામણી કર્યાનો આરોપ કર્યો હતો, જે પ્રકરણે કોથરુડ પોલીસે કેસ બનતો નથી એમ જણાવ્યા પછી તે મહિલાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.સેશન્સ કોર્ટે 11મી નવેમ્બરે આદેશ આપ્યો હતો, જેની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી. કોર્ટે કોથરુડ પોલીસને મહિલાની ફરિયાદને આધારે એફઆઈઆર દાખલ કરવા અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દરજ્જાના અધિકારી થકી તપાસ કરાવવા નિર્દેશ આપ્યા છે. મહિલાની ફરિયાદ હતી કે છત્રપતિ સંભાજીનગરની એક મહિલા તેમની સાથે થોડો સમય રહી હતી, જે પછી ગુમ થઈ ગઈ હતી. તે પ્રકરણની તપાસમાં તેની અને તેની સાથે ફ્લેટમાં રહેતી સાથીની પોલીસે સતામણી કરી હતી. આ પછી બે મહિલા અને સ્થાનિક ચળવળકારોએ પોલીસ કમિશનરેટની બહાર વિરોધ પ્રદર્શન કરીને કોથરુડ પોલીસના જવાબદાર કર્મચારી સામે પગલાં લેવાની માગણી કરી હતી. આ પછી પુણે પોલીસે ગેરકાયદેસર રીતે એકઠા થવું, સરકારી કર્મચારીના કામમાં અવરોધ પેદા કરવો અને મિલકતને હાનિ પહોંચાડવાના આરોપ હેઠળ આઠ ચળવળકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહિલાઓએ કોર્ટને જણાવ્યું હતું કે પોલીસોએ તેમના ઘરમાં ઘૂસણખોરી કરી હતી અને તેની પર અને તેની બહેનપણી પણ હુમલો કર્યો હતો, વિનયભંગ કરવાનો પ્રયાસ કર્યો અને જાતિવાચક ટિપ્પણીઓ પણ કરી હતી.એડિશનલ સેશન્સ જજ એચ કે ભાલેરાવે જણાવ્યું કે પોલીસ સ્ટેશન ખાતે જનરલ ડાયરીની વિગતો દર્શાવે છે કે પ્રતિવાદીઓ (પોલીસ) ગુમ મહિલાના ઘરે તલાશી લેવા ગયા હતા. પ્રતિવાદીઓ ગુમ મહિલાની તલાશીને નામે પોતાની ઓળખ જાહેર કર્યા વિના કોઈ પણ મહિલાના ઘરમાં ઘૂસી નહીં શકે અને તલાશી પણ નહીં લઈ શકે. આથી તેમણે અપમાન કર્યું, સતામણી, વિનયભંગ કર્યો અને હુમલો કર્યો હતો એવું જણાય છે.
સિટી એન્કર:હવે દરેક ફ્લેટ માલિકને સોસાયટીની જમીનમાં ભાગ મળશે
અત્યાર સુધી નિવાસી ઈમારતોની જમીન હાઉસિંગ સોસાયટી અથવા સભ્યોના સહિયારા નામ પર નોંધવામાં આવતી હતી. હવે ઈમારતમાં રહેતા દરેક રહેવાસીને સ્વતંત્ર માલિકી હકનો કાયદાકીય પુરાવો મળશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ લાવવાની છે. આ કાર્ડ દ્વારા દરેક ફ્લેટધારકને જમીનમાં વ્યક્તિગત ભાગ મળશે અને સાતબારા ઉતારામાં પણ એનું નામ ચઢશે. વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ એક પૂરક મિલકતપત્ર છે જે મુખ્ય પ્રોપર્ટી કાર્ડ સાથે દરેક ફ્લેટધારકને વ્યક્તિગત રીતે આપવામાં આવશે. ઈમારતનો કુલ એરિયા અને દરેક ફ્લેટધારકનો એમાં ભાગ નોંધવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડવાળી ઈમારત સાથે જ સાતબારા ઉતારા પર નોંધેલી ઈમારતોને પણ વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ લાગુ થશે. એના લીધે હાઉસિંગ સોસાયટીઓ અથવા એપાર્ટમેંટના દરેક રહેવાસીને જમીનનો સ્વતંત્ર માલિકી હક મળશે જે કાયદાકીય રીતે અબાધિત રહેશે. કોઈ ઈમારત 10 નિવાસી ઘરની હશે અને એની જમીન 5 હજાર સ્કવેર ફૂટ હશે તો મુખ્ય પ્રોપર્ટી કાર્ડ પર સોસાયટીનું નામ હશે. પણ વર્ટિકલ કાર્ડ દ્વારા દરેક ફ્લેટધારકને તેમના ભાગના એરિયાની નોંધ મળશે એટલે કે 500 સ્કવેર ફૂટ જમીનનો ભાગ મળશે. વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ આપવા સંદર્ભે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરી છે. મહેસૂલ વિભાગના અપર મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ આ સમિતિ કામ કરશે અને એક મહિનાની અંદર સરકારને અહેવાલ આપશે. કાર્ડ ડિજિટલ સ્વરૂપમાંવર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ ડિજિટલ સ્વરૂપમાં હશે જેના લીધે એક સ્પેનમાં ઈમારતની સંપૂર્ણ માહિતી, ફ્લેટ નંબર, એરિયા, માલિક હકની ખબર પડશે. મહારાષ્ટ્રમાં 10 લાખ કરતા વધારે હાઉસિંગ પ્રોજેક્ટ છે જેમાંના અનેક રહેવાસીઓ હજી પણ માલિકી હકના પુરાવા માટે ઝઘડી રહ્યા છે. આ કાર્ડ લાગુ થવાથી નવા પ્રકલ્પમાં બેંક તરફથી લોન મંજૂરી અને રિયલ એસ્ટેટ વ્યવહાર ઝડપી થશે. ઈમારતમાં રહેતા તમામ રહેવાસીઓના નામ સાતબારામાં આવવા માટે વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ મહત્વનું બનશે. પહેલા તબક્કામાં પ્રોપર્ટી કાર્ડવાળી હાઉસિંગ સોસાયટીઓને આ કાર્ડ આપવામાં આવશે. બીજા તબક્કામાં દરેક ફ્લેટધારકને વ્યક્તિગત કાર્ડ મળશે. રહેવાસીઓને મળનારા ફાયદાઆ કાર્ડ વ્યક્તિગત માલિકી હકનો કાયદેસરનો પુરાવો રહેશે. ફ્લેટ વેચાણ માટે મહાપાલિકાની કર પાવતી અને સેલ એગ્રીમેન્ટ પૂરતો છે પણ જમીનનો હક સાબિત કરવા સોસાયટી પર આધાર રાખવો નહીં પડે. બેંક લોન, પ્રોપર્ટી ટ્રાન્સફર અથવા વારસા પ્રમાણપત્ર માટે કોઈ અડચણ નહીં રહે. દરેકનો ભાગ સ્પષ્ટપણે નોંધવામાં આવશે. સાતબારા ઉતારા પર દરેકનો ભાગ સ્પષ્ટપણે નોંધાવાથી સોસાયટીના વ્યવસ્થાપનમાં કોઈ ગેરવ્યવહાર અથવા જમીનના હક પરથી થતા વિવાદ ઓછા થશે. સિટી એન્કર

30 C