SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

હાર્દિક અને અલ્પેશ હજુ 'મિનિસ્ટર ઇન વેઇટિંગ'ના લિસ્ટમાં:આંદોલનની ચિમકી, શક્તિપ્રદર્શન નડ્યું; રાદડિયા અને શંકર ચૌધરીને મંત્રી ન બનાવી ભાજપે શું ગણિત માંડ્યું?

આમ તો 2022ના ડિસેમ્બર મહિનામાં ભાજપનો 156 સીટ પર વિજય થયો અને મુખ્યમંત્રી સહિત માત્ર 17 લોકોનું નાનું મંત્રીમંડળ બન્યું ત્યારથી જ ચર્ચાતું હતું કે વિસ્તરણ થશે. ભાજપના ઘણા ધારાસભ્યો પણ મંત્રીમંડળ વિસ્તરણની રાહ જોઈ રહ્યા હતા. આખરે પોણા ત્રણ વર્ષ બાદ એ સમય આવ્યો. પરંતુ લાંબા સમયથી પોતાને મંત્રીપદના દાવેદાર માનતા નેતાઓ હજુ પણ ‘મિનિસ્ટર ઇન વેઇટિંગ’ લિસ્ટમાં યથાવત્ રહ્યા છે. આ વખતે જયેશ રાદડિયા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તેમજ શંકર ચૌધરી જેવા નેતાને મંત્રીપદ મળ્યું નથી. આખરે સંભવિત નેતાઓના લિસ્ટમાં ચર્ચાસ્પદ રહેલા નેતાઓના નામ કયા કારણોસર કપાયા એ ખૂબ જ આશ્ચર્યજનક અને સમજવા જેવું છે. ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારની વાતો ચાલી ત્યારથી એક નામ સતત અગ્રેસર હતું, આ નામ એટલે યુવા પાટીદાર નેતા જયેશ રાદડિયા. શપથ સમારોહના 24 કલાક પહેલા તો એવો માહોલ બની ચૂક્યો હતો કે રાદડીયાના નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે. પરંતુ શુક્રવારની સવાર પડતા જ જયેશ રાદડિયાનું નામ લિસ્ટમાંથી હટી ગયું. રાદડિયા મહાત્મામંદિર ખાતે શપથ સમારોહમાં આવ્યો તો ખરા પણ મહેમાન તરીકે. આખરે એવું તો શું થયું કે રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, એ સમજો. સી.આર. પાટીલ સાથે મતભેદભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તેમના સંબંધોમાં થોડી ખટાશ આવી હતી. પાટીલે ભૂતકાળ નિયમ બનાવ્યો હતો કે મેન્ડેટ વિના સહકારી ક્ષેત્રની ચૂંટણી લડવી એ પક્ષની નીતિ વિરુદ્ધ છે. તેમ છતાં, રાદડિયાએ સહકાર ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી અને ચૂંટણી લડ્યા, એટલું જ નહીં પણ જીત્યા પણ હતા. જ્યારે ભાજપના મેન્ડેટ પરથી ઇફ્કોની ચૂંટણી લડેલા બિપીન ગોતાની હાર થઈ હતી. પાર્ટી હાઈકમાન્ડે તેમના આ સ્વતંત્ર નિર્ણયની નોંધ લીધી હશે. એટલે જ મેન્ડેટ વિવાદ પર પાટીલ પોતાની છેલ્લી સભામાં પણ ટકોર કરીને ગયા હતા. તેમણે કહ્યું હતું, સહકારી ક્ષેત્રે અમે 350 ચૂંટણી લડ્યા જેમાંથી 349 જીત્યા. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેડ પ્રથા ઘણા લોકોને ગમી નથી. પણ ભાજપ એક શિસ્તબદ્ધ પક્ષ છે અને ચૂંટણી પણ શિસ્તબદ્ધ રીતે જ લડાવવી જોઈએ. કોઈપણ ચૂંટણી હોય, પછી તે સહકારી ક્ષેત્રની હોય કે અન્ય, મેન્ડેટ મુજબ જ કામ ચાલશે. પક્ષ ઈચ્છે તે જ વ્યક્તિ ચૂંટણી લડશે અને પક્ષના નિયમોનો ભંગ કોઈ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. ખોડલધામના નરેશ પટેલ સાથેનો વિવાદજયેશ રાદડિયા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વચ્ચેના મતભેદ છાનાછૂપા નથી રહ્યા. રાદડિયાએ નરેશ પટેલ સામે જાહેરમાં અનેક વખત નિવેદનો આપ્યા છે. બીજી તરફ ખોડલધામના નરેશ પટેલની નિકટતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે હોવાનું માનવામાં આવે છે. આના કારણે સમાજના દૃષ્ટિકોણથી પણ જયેશ રાદડિયા વિરુદ્ધ માહોલ બની ચૂક્યો હતો. જે તેમને મંત્રી પદ ન મળવામાં નડ્યું હોઈ શકે. ગોપાલ ઈટાલિયા સામેની લડાઈએવી વાત હતી કે જયેશ રાદડિયાને ગોપાલ ઈટાલિયા સામે મજબૂત નેતા તરીકે રજૂ કરવામાં આવશે. કારણ કે સૌરાષ્ટ્રના યુવા પાટીદાર નેતા તરીકે જયેશ રાજડિયા ઘણા અંશે એ મેરિટ પર ખરા ઉતરી શકે એમ હતા. પરંતુ તેમની જગ્યાએ ભાજપે પાટીદાર નેતા કાંતિ અમૃતિયાને મંત્રી બનાવી દીધા. અગાઉ પણ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે રાજીનામાના મુદ્દે ચકમક થઈ હતી. વિસાવદર પેટા ચૂંટણીમાં નિષ્ફળતાવિસાવદરની પેટા-ચૂંટણીએ મંત્રીમંડળ વિસ્તરણમાં મોટો રોલ ભજવ્યો હોવાનું જાણવા મળે છે. આ ચૂંટણી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. વળી ખેડૂત તેમજ પાટીદારોના સમીકરણવાળી આ બેઠક જીતવા માટે ભાજપે જયેશ રાદડિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ જવાબદારી સ્વિકારી પણ હતી. તેમ છતાં ભાજપની હાર થઈ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતીને ધારાસભ્ય બની ગયા. આનાથી એ મોટો પ્રશ્ન ઊભો થયો કે જયેશ રાદડિયાના પ્રભાવ છતાં નવા આવેલા ગોપાલ ઈટાલિયા કેમ જીત્યા? સહકાર ક્ષેત્રમાં દબદબોજયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયા સહકાર ક્ષેત્રે ખૂબ સક્રિય રહ્યા હતા. એટલે સહકારિતા ક્ષેત્રે દબદબો જયેશ રાદડિયાને વારસામાં મળ્યો અને ત્યાર બાદ તેમણે પોતાની ઉપસ્થિતિનો ખીલો પણ ગાડી દીધો છે. ઇફ્કોની ચૂંટણી જીતવી એ તેમની મોટી સફળતા માનવામાં આવી રહી છે. એટલે સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં તેમનો દબદબો ઘણો મોટો છે. કદાચ પાર્ટી હવે તેમને વધુ મોટું પદ આપીને આગળ વધારવા માંગતી ન હોય એવું પણ બની શકે. જો કે ભાજપમાં હવે જયેશ રાદડિયા સાઇડલાઇન થઈ ગયા છે એવું માનવું પણ યોગ્ય નથી. હવે જયેશ રાદડિયાને ભાજપ સંગઠનમાં પણ સ્થાન આપી શકે છે. જેમ કે મહામંત્રીનું પદ મળે તો તેમની રાજકીય સક્રિયતા જળવાઈ રહેશે. નહીં તો તેમને માત્ર એક ધારાસભ્ય તરીકે જ કાર્ય કરવું પડશે. જયેશ રાદડિયા ઉપરાંત ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના દાવેદારોમાં અલ્પેશ ઠાકોરનું નામ ખૂબ ચર્ચાયું હતું. કારણ કે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ પણ અલ્પેશ ઠાકોરને 2022ની વિધાનસભા ચૂંટણી બાદ મંત્રી નહોતા બનાવ્યા. એટલે એવું માનવામાં આવતું હતું કે આ વખતે અલ્પેશ ઠાકોરને લીલી પેનથી સહી કરવા મળશે. ગુજરાતમાં ઠાકોર સમાજની નારાજગીના કારણે ગેનીબેન ઠાકોર સાંસદની ચૂંટણી જીતી ગયા પછી ચોક્કસ મનાતું હતું કે નવા મંત્રીમંડળમાં કોઈ ઠાકોર ચહેરાને સ્થાન આપવામાં આવશે. આ ચહેરા તરીકે અલ્પેશ ઠાકોરને પહેલી પસંદગી માનવામાં આવતા હતા. પરંતુ તેમનો આ વખતે પણ નંબર ન લાગ્યો અને શપથ સમારોહમાં સ્ટેજની નીચે બીજી હરોળમાં બેસવાનો વારો આવ્યો. અલ્પેશ ઠાકોરના સ્થાને સ્વરૂપજી ઠાકોરને સ્થાન આપી દેવામાં આવ્યું. આમ જોવા જઈએ તો મંત્રીમંડળમાં સ્વરૂપજી ઠાકોરનું નામ એક ચોંકાવનારું હતું. અલ્પેશ ઠાકોરને પસંદ ન કરવાના મુખ્ય કારણો આ રહ્યા મૂળ કોંગ્રેસીઓનું મંત્રીમંડળમાં વજન ન વધેઅલ્પેશ ઠાકોર મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. નવા પસંદ કરાયેલા મંત્રીઓમાં અર્જુન મોઢવાડિયા સિવાય કોઈ અન્ય મોટા કોંગ્રેસી ચહેરાને સ્થાન અપાયું નથી. બીજી તરફ, મૂળ કોંગ્રેસી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં યથાવત રખાયા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે નવા મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓનું વજન ન વધે તેનું પૂરતું ધ્યાન રખાયું છે. સ્થાનિક વિરુદ્ધ બિન-સ્થાનિકબનાસકાંઠાના ઠાકોર સમાજની નારાજગી દૂર કરવા માટે અલ્પેશ ઠાકોર ઠાકોર જ્ઞાતિના નેતા ચોક્કસ છે પરંતુ તેઓ સ્થાનિક નથી. પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને સ્થાન આપ્યું, જેમને પેટાચૂંટણીમાં ત્યાંની જનતાએ જીતાડ્યા છે. પાર્ટીએ આ રીતે સ્થાનિક નેતાને મોટો કરીને ત્યાંના ઠાકોર સમાજને રિઝવવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભા મતવિસ્તારનું સમીકરણ નડી ગયુંઅલ્પેશ ઠાકોરને મંત્રી પદ ન મળવા પાછળ વિધાનસભા મતવિસ્તાર પણ એક કારણ હોઈ શકે. મુખ્યમંત્રી અમદાવાદના છે, પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે અને અમદાવાદની અસારવા સીટથી ધારાસભ્ય દર્શના વાઘેલાને પણ મંત્રી બનાવાયા છે. આવામાં અમદાવાદની બાજુના ગાંધીનગર શહેરી વિસ્તારના કોઈ વધુ એક ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવે તો શહેરી વિસ્તાર, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના શહેરી વિસ્તારનું પ્રભુત્વ વધી શકે તેવી પરિસ્થિતિ હતી. આ સંજોગોને ધ્યાને લઈ અલ્પેશ ઠાકોરના બદલે સ્વરૂપજી ઠાકોરને પસંદ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. નોંધવા જેવી વાત એ પણ છે કે વ્યક્તિગત રીતે અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે સારા સંબંધો છે. સ્વરૂપજીને જીતાડવા માટે અલ્પેશ ઠાકોરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી સ્વરૂપજીના નામથી અલ્પેશ ઠાકોરને કોઈ ખાસ વિરોધ હશે તેવું માનવાને કોઈ કારણ નથી. પરંતુ, સ્વરૂપજી ઠાકોરના મંત્રી બનવાથી 'જૂનિયર સિનિયર કરતાં વધારે આગળ વધી ગયા' હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાટીદાર આંદોલનનો પોસ્ટર બોય અને કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચૂકેલા હાર્દિક પટેલે ભાજપનો છેડો પકડીને વિરમગામથી વિધાનસભા તો પહોંચી ગયા. પરંતુ સ્વર્ણિમ સંકૂલ પહોંચતા હજુ વાર લાગશે. ફરી એકવાર હાર્દિક પટેલને પણ માત્ર ધારાસભ્ય પદથી જ સંતોષ માનવો પડ્યો છે. અગાઉ ચર્ચા હતી કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો હાર્દિકને તેમાં સ્થાન મળશે પણ આ તમામ આગાહીઓ ખોટી સાહિત થઈ. હાર્દિક પટેલના મંત્રી પદ ન મળવા માટેના કારણો પણ ઘણા છે. કોંગ્રેસમાંથી આગમનહાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. અગાઉની ચર્ચા મુજબ, નવા મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસી નેતાઓને વધારે વજન આપવામાં આવ્યું નથી. આંતરિક સમીકરણો જાળવવા માટે આ એક મુખ્ય પરિબળ હોઈ શકે છે. સરકારને આપેલી ગર્ભિત ચેતવણી અને નારાજગીભૂતકાળમાં હાર્દિકે પટેલે વિરમગામના કેટલાક પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવાના નામે સરકારને ગર્ભિત રીતે ચેતવી હતી. હાર્દિકે કહ્યું હતું કે જરૂર પડ્યે ઉપવાસ આંદોલન પણ કરીશ. આમ, તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ભાજપને કદાચ તેમનું આ વલણ 'અસહ્ય' લાગ્યું હશે, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાટીદાર સમાજમાં ઘટેલું માનસૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનું વલણ અને ગોપાલ ઈટાલિયા ફેક્ટરને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના નેતાઓને મંત્રીમંડળમાં પ્રભુત્વ મળવાનું હતું. પરંતુ ભાજપ હાઇકમાન્ડને કદાચ એ વાતનો અંદાજો હશે કે પાટીદાર સમાજમાં હાર્દિકનું જે માન અગાઉ હતું તે હવે રહ્યું નથી. આથી, હાર્દિકને મંત્રી પદ આપવાથી ગોપાલ ફેક્ટર પર કોઈ મોટી અસર પડવાની શક્યતા નહોતી. કાંતિ અમૃતિયાને અપાયેલું સ્થાનકાંતિ અમૃતિયા પણ પાટીદાર નેતા છે અને તેમણે ગોપાલ ઈટાલિયાની સામે સીધી બાથ ભીડી હતી. તેમને મંત્રી પદ આપી દેવામાં આવ્યું, જે સૂચવે છે કે પાર્ટીએ તેમના પ્રદર્શન અને પ્રભાવને વધુ મહત્વ આપ્યું છે. સંગઠનની બેઠકોમાં ગેરહાજરીછેલ્લા કેટલાક સમયથી કમલમ ખાતેની સંગઠનની બેઠકોમાં હાર્દિક પટેલની ગેરહાજરી સ્પષ્ટપણે ધ્યાન ખેંચતી હતી. પાર્ટીને કદાચ એવો ડર હશે કે જો તેમને મોટી જવાબદારી સોંપવામાં આવે તો તેઓ પોતાના જૂના સ્વભાવ અને આપખુદી પર ઉતરી ન આવે. આથી જ તેમને કદ પ્રમાણે વેતર્યા હોવાની વાત પણ ચાલી રહી છે. વિસ્તારની ગણતરીમાં અનફિટમુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના છે, ઉપરાંત દર્શના વાઘેલાને પણ અમદાવાદ શહેરમાંથી મંત્રી બનાવાયા છે. જ્યારે હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય છે. એટલે વિસ્તારની ગણતરી પ્રમાણે પણ તેમનું સ્થાન ફીટ બેસતું ન હતું. સ્થાનિક જૂથવાદછેલ્લા કેટલાક સમયથી વિરમગામ ભાજપમાં આંતરિક જૂથવાદ વધ્યો હતો. હાર્દિક પટેલની સામે અને તેમની સાથેના જૂથનો ખટરાગ ચર્ચામાં આવ્યં હતું. એટલે સ્થાનિક નારાજગી પણ એક કારણ હતું. આ મુખ્ય કારણોની સાથે સાથે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બંને અમિત શાહના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા. આ બંનેમાંથી એક પણ વ્યક્તિને મંત્રી પદ ન મળતા અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થયા છે. જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે બનાસકાંઠામાંથી એક નામ પર સૌની નજર હતી અને તે હતું શંકરભાઈ ચૌધરીનું. એવી અપેક્ષા હતી કે નવા મંત્રીમંડળમાં તેમને કેબિનેટ કક્ષાનું ખાતું મળી શકે છે, પરંતુ જ્યારે નામોનું લિસ્ટ સામે આવ્યું ત્યારે શંકરભાઈ ચૌધરીનું નામ તેમાં જોવા નહોતું મળ્યું. શંકર ચૌધરીને મંત્રી પદ ન મળવા પાછળ આ ત્રણ સંભવિત કારણો હોઈ શકે ઠાકોર ફેક્ટર અને લોકસભા ચૂંટણીની અસરબનાસકાંઠામાં ચૌધરી અને ઠાકોર સમાજના મતો ખૂબ જ વધુ છે. શંકર ચૌધરીનું પ્રભુત્વ હોવા છતાં ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં ભાજપની હેટ્રિકમાં ગાબડું પાડીને કોંગ્રેસને એક સીટ અપાવી હતી, જેના કારણે ગેનીબેનનું કદ સતત વધી રહ્યું હતું. આ જોતા ભાજપના હાઈકમાન્ડે ઠાકોર મતદારોને આકર્ષવા માટે સ્વરૂપજી ઠાકોરને પેટા ચૂંટણીમાં ઉતાર્યા અને તેઓ જીત્યા પણ ખરા. આવા સંજોગોમાં ઠાકોર ફેક્ટરને મહત્વ આપીને સ્વરૂપજીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેના કારણે શંકર ચૌધરીની બાદબાકી કરાઈ હોઈ શકે છે. શંકર ચૌધરીની પોતાની સહમતિએવું પણ બની શકે કે શંકર ચૌધરીએ પોતાની જગ્યાએ બનાસકાંઠામાંથી પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરના નામ પર સહમતી આપી હોય. જેથી નવી પેઢી તૈયાર થઈ શકે. વિસ્તાર અને સીમાંકન બાબતે નારાજગીએક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે વાવ-થરાદ અલગ જિલ્લો બન્યા પછી ઘણા ગામડાઓમાં નારાજગી હતી. સીમાંકનના કારણે ભાજપના નેતાઓને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં જો શંકર ચૌધરીને મંત્રી બનાવવામાં આવે તો ક્યાંક ભાજપને આવનારી ચૂંટણીઓમાં આ નારાજગીની અસર થઈ શકે છે. તેથી આ પરિસ્થિતિને ટાળવા માટે પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું ન હોઈ શકે. અધ્યક્ષ પદે યોગ્ય વ્યક્તિ2022ની વિધાનસભા ચૂંટણી પછી શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ પદ તેમના અનુભવ અને આવડતને અનુરૂપ હોવાનું પણ રાજકીય પંડિતો માની રહ્યા છે. આવનારા સમયમાં વિધાનસભાના યોગ્ય રીતે સંચાલન માટે શંકર ચૌધરી યોગ્ય ચહેરો હોય એવું પણ હાઇકમાન્ડને લાગ્યું હોઈ શકે. એટલે તેમને આ જ બંધારણીય પદે કન્ટીન્યૂ કરવામાં આવ્યા હોય.

દિવ્ય ભાસ્કર 18 Oct 2025 12:05 am

14 વર્ષીય સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ભગાડી દુષ્કર્મ આચર્યું:પિતા પર પણ બળાત્કારનો આરોપ, પોલીસે અલગ-અલગ ફરિયાદ નોંધી

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરાને 22 વર્ષીય મિકેનિકનું કામ કરતો યુવકે લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અમદાવાદ ખાતે તેને રાખી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. વેકેશન દરમિયાન સગીરા સુરત ખાતે રહેતા તેના માતા પિતાના ઘરે જતી હતી, ત્યારે તેના પિતા સગીરાને ધમકી આપીને વારંવાર શરીર સંબંધ બાંધતા હોવાનું હકીકત જણાવતા પોલીસ પણ ચોકી ગઇ હતી. પોલીસે 22 વર્ષીય યુવક અને સગીરાના પિતા વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. જેમાં પિતા વિરુદ્ધની ફરિયાદ જીરો નંબરથી સુરત ખાતે ટ્રાન્સફર કરાશે. યુવક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતોવડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી યાજ્ઞિક રાઠોડના નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી લીધી હતી. ત્યારે સતત ફોન તથા મેસેજથી સંપર્કમાં રહેતા હતા ત્યારે મિકનિકનું કામ કરતા આ યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી ત્યારે આ સગીરાને ભગાડીને અમદાવાદ ખાતે રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી, પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરીને બંને ઝડપી પાડવામાં આવ્યાં હતા. મકરપુરા પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે રવાના થઇ હતી અને સગીરા તથા આરોપી યાજ્ઞિક રાઠોડ મકરપુરા પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. જ્યાં બંને મેડિકલ કરાવવામાં આવ્યાં હતા. 6 મહિનાથી યુવક સાથે પ્રેમ સંબંધ હતોઆ દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ જી. ડી. રાજપુત દ્વારા સગીરાની પુછપરછ કરતા તેણીએ 6 મહિનાથી યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તે તેને ભગાડી અમદાવાદ ખાતે લઇ ગયો હતો ત્યાં તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યાં હતા. જેથી, પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારા પિતા મને ધમકી આપીને મારા પર વારંવાર દુષ્કર્મ ગુજારતા હતામૂળ સુરતની અને વડોદરામાં માસા-માસીના ઘરે રહેતી સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે, હું ધોરણ 9માં અભ્યાસ કરું છે, વેકેશન પડે ત્યારે હું સુરત ખાતે રહેતા મારા માતા પિતા પાસે જતી હતી ત્યારે મારા પિતા મને ધમકી આપીને મારા પર વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા. જેથી, મકરપુરા પોલીસે યાજ્ઞિક રાઠોડ તથા સગીરાના પિતા વિરુદ્ધ બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરી છે. જેમાં સગીરાના પિતા વિરુદ્ધની ફરિયાદ સુરત ખાતે જીરો નંબરથી ટ્રાન્સફર કરાશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 10:30 pm

BCA વિદ્યાર્થી અને રત્નકલાકાર ઝડપાયા:ક્રાઇમ બ્રાન્ચે રૂ. 7 લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ

આર્થિક સંકડામણ અને ઝડપથી પૈસા કમાવવાની લાલચ યુવાનોને કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી શકે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. શહેરના ઉગત કેનાલ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે રૂ. 7 લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક BCAના વિદ્યાર્થી અને એક રત્નકલાકારની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વોન્ટેડ આરોપી યશ રાઠોડના કહેવા પર છૂટકમાં ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા. અભ્યાસ અને પાર્ટ ટાઇમ જોબની આડમાં ડ્રગ્સનું નેટવર્કઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક છે યશ વાઘેલા, જે BCAનો વિદ્યાર્થી છે. આજના યુગમાં જ્યાં યુવાનો ટેક્નોલોજી અને ડિજિટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે, ત્યાં યશ વાઘેલા જેવો વિદ્યાર્થી નશાના વેપારમાં જોડાતા સુરતના યુવાવર્ગની દિશા અંગે ચિંતા વધી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યશ વાઘેલા પાર્ટ ટાઇમમાં ફોટોગ્રાફર તરીકે અને લોજિસ્ટિક્સ એપ પોર્ટરમાં ડિલિવરી બોય તરીકે પણ કામ કરતો હતો પરંતુ, આ પાર્ટ-ટાઇમ કમાણી પૂરતી ન હોવાથી કે અન્ય કોઈ કારણોસર તે તેના મિત્ર અને વોન્ટેડ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો અને તેના કહેવા પર હાઇબ્રિડ ગાંજાનું છૂટક વેચાણ કરવા લાગ્યો હતો. એક તરફ ડિલિવરી બોય તરીકેની નોકરી તેને કાયદેસરની આવક આપતી હતી, તો બીજી તરફ તે જ મોપેડ પર નશાનો જથ્થો લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગેરકાયદેસર કામ પણ કરતો હતો. હીરામાં મંદી અને નોકરી ગુમાવવાનું પરિણામબીજો આરોપી છે મિતુલ સિદ્ધપુરા, જે વ્યવસાયે રત્નકલાકાર છે અને ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલો છે. તપાસમાં સામે આવ્યું કે સુરતના મુખ્ય ઉદ્યોગ હીરા બજારમાં મંદી આવવાના કારણે મિતુલની નોકરી છૂટી ગઈ હતી. આર્થિક ભીંસ અને આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા, તે પણ વોન્ટેડ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો.મિતુલ સિદ્ધપુરા હીરા ઘસવાનું કામ છોડીને, યશ રાઠોડ પાસેથી છૂટક જથ્થામાં હાઇબ્રિડ ગાંજો લાવીને વેચાણ કરવા લાગ્યો હતો. મંદીની આડમાં ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા આ રત્નકલાકારનું પગલું, સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની આડઅસર કયા સ્તરે પહોંચી શકે છે તે દર્શાવે છે. ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીસુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઉગત કેનાલ રોડ પરથી આ બંને આરોપીઓને મોપેડ પર 236.310 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાંજા, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 8.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને બંને આરોપીઓના સપ્લાયર યશ રાઠોડની શોધખોળ માટે કવાયત શરૂ કરી છે. આ બનાવથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ, વ્યવસાય અને આર્થિક જરૂરિયાત વચ્ચેના તફાવતનો લાભ લઈ ડ્રગ્સ માફિયાઓ યુવાનોને કેવી રીતે શિકાર બનાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 10:17 pm

દિવાળી પર્વ: શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ, ગેરકાયદેસર ફટાકડા સ્ટોરની તપાસ

જામનગરમાં દિવાળી પર્વના તહેવારને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગેરકાયદેસર ફટાકડા સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી. સીટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી. ઝા અને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતના સ્ટાફે આ કામગીરી સંભાળી હતી. પોલીસ દ્વારા સીટી બી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલાબ નગરથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. દિવાળી પર્વ લોકો શાંતિપૂર્ણ અને સલામતીપૂર્વક માણી શકે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ગુલાબ નગરના મુખ્ય માર્ગો, બજારો અને અન્ય વિસ્તારોમાં આવેલા ફટાકડાના સ્ટોલ પર પણ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 9:59 pm

ગોધરામાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો:પોલીસે ઓળખ માટે વર્ણન જાહેર કરી વાલીવારસની શોધખોળ શરૂ કરી

ગોધરા રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહની ઓળખ કરવા અને તેમના વાલીવારસને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ માટે પોલીસે મૃતદેહનું વર્ણન જાહેર કર્યું છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાભાઈ લાલાભાઈના અહેવાલ મુજબ, ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં અ.મૌત.નં.27/2025 હેઠળ આ બનાવ નોંધવામાં આવ્યો છે. આશરે ૫૦ વર્ષની એક અજાણી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી.સ્ટેશન માસ્તરને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ તપાસ કરતા જણાવ્યું કે મહિલાનું તા.16/10/2025 ના રોજ સવારે 9:50 વાગ્યા પહેલા કુદરતી રીતે મૃત્યુ થયું હતું.મૃતક મહિલાના કોઈ વાલીવારસ મળી ન આવતા, રેલવે પોલીસે તેમની ઓળખ માટે દૈનિક સમાચારપત્રોમાં મૃતદેહનું વર્ણન પ્રસિદ્ધ કરવા વિનંતી કરી છે. આ કાર્યવાહી ભારતીય નાગરિક સુરક્ષા-2023 ની કલમ-194 હેઠળ કરવામાં આવી રહી છે.મૃતદેહનું વર્ણન નીચે મુજબ છે: મહિલાની ઉંમર આશરે 50 વર્ષ છે. તેમનું શરીર મધ્યમ બાંધાનું અને રંગે ઘઉંવર્ણી છે. તેમણે પીળા, ગુલાબી અને લીલા ફૂલની ડિઝાઇનવાળી સાડી, પોપટી કલરનું ફૂલ ડિઝાઇનવાળું બ્લાઉઝ અને આછા આસમાની કલરનો ચણીયો પહેરેલો છે. તેમની ઊંચાઈ આશરે 4.8 ફૂટ છે અને તેમનો બાંધો પાતળો છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 9:58 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટ પોલીસે ઝડપેલા રૂ.1.65 કરોડના દારૂ-બીયર પર બુલડોઝર ફરી વળ્યું

દિવાળી પૂર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા રૂ.1.65 કરોડના કુલ 43323 બોટલ દારૂ અને બિયરના ટીનનો સોખડા નજીક ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર વિસ્તારમાં વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાના કોર્ટ હુકમથી અમદાવાદ હાઇવે પર સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે આવેલ સરકારી ખરાબો વાળી જગ્યાએ મુદ્દામાલના નાશ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના ઝોન-1 વિસ્તારમાં આવતાં બી. ડિવિઝન, કુવાડવા, એરપોર્ટ, થોરાળા, ભક્તિનગર અને આજીડેમ પોલીસમાં પકડાયેલ 64 ગુનાના 16291 દારૂ-બિયરની બોટલ રૂ.67.06 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરના ઝોન-2 વિસ્તારમાં આવતાં પ્રદ્યુમનનગર, એ.ડિવિઝન, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, તાલુકા અને માલવીયાનગર પોલીસમાં પકડાયેલ 79 ગુનાની 10877 દારૂ-બિયરની બોટલ રૂ.54.08 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે કરેલ 24 કેસમાં પકડાયેલ 16155 દારૂ-બીયર રૂ.44.04 લાખના મુદ્દામાલનો પણ સાથે નાશ કરવામાં આવ્યો હતો. લાયસન્સ વગર ફટાકડા વેંચતા 5 વેપારી સામે ફરિયાદ દાખલરાજકોટ શહેર જિલ્લામાં પોલીસને ફટાકડાના સ્ટોલ પર વેપારીઓ નિયમોનું પાલન કરે છે કે કેમ તે ચેક કરવા માટે સૂચના આપી હતી જે દરમિયાન 5 વેપારીઓ લાયસન્સ વગર ફટાકડા વેચાણ કરતા હોવાથી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ શ્રદ્ધા એપાર્ટમેન્ટ પાસે બાલાજી ફટાકડા નામનો ફટાકડાનો સ્ટોર ચલાવનાર શખસ પાસે ફટાકડા વેચવા માટેનું કોઈ લાઇસન્સ ન હોય પોલીસે સ્ટોર સંચાલક વિશાલ ભુપતભાઈ જોગડીયા વિરુદ્ધ જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ જ વિસ્તારમાં શ્રીજી કોમ્પલેક્ષ કાજલ પાન પાસે પિયુષ ફટાકડા નામનો સ્ટોર ચલાવનાર પિયુષ ભુપતભાઈ ડંડૈયા પાસે પણ ફટાકડાનું લાયસન્સ ન હોય તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તિનગર પોલીસ દ્વારા નેહરૂનગર 80 ફુટ રોડ પટેલ ચોક પાસે દીપ હાર્ડવેરની દુકાનની બાજુમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર અશોક રવજીભાઈ દેસાઈ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જયારે જિલ્લામાં પડધરી પોલીસ સ્ટાફ પડધરીમાં મેઇન બજાર પાસે આશાપુરા કોમ્પલેક્ષ સામે આશાપુરા ફટાકડા સ્ટોલના સંચાલક ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ લાઇસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવવા બાબતે જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે તેમજ આ જ વિસ્તારમાં લાઇસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવનાર કરણ કરશનભાઇ ગોલતર વિરુદ્ધ પણ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડરાજકોટ શહેર આજીડેમ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એક શખસ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વહેંચતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે માંડાડુંગર નજીક દેવકીનંદન સોસાયટીમાં વકીલસિંહ રામદરસિંહના મકાનમાં રેડ કરતા ઘરમાંથી 12.520 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી વકીલસિંહ રામદરસિંહની ધરપકડ કરી તેની પાસેથી 1.25 લાખનો ગાંજો કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી આ જથ્થો ક્યાંથી લાવી કોને વેંચતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાલુ બાઇકમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોતકાર્તિકભાઈ ઉમેશભાઈ ચોક્સી (ઉં.વ.46) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સીટી પાસે અચાનક બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી તેમને તત્કાલ બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક સોની બજારમાં કામ કરતી વખતે તબિયત બગડતા પંચનાથ હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે ડોક્ટરે બ્લડપ્રેશર લો હોવાનું જણાવ્યું હતું અને દવા પણ આપી હતી ઉપરાંત વધુ સારવાર કરાવવા પણ સલાહ આપી હતી જોકે, કાર્તિકભાઈ વધુ સારવાર માટે તૈયાર થયા ન હતા અને પોતે દવા પીધા બાદ આરામ કરી લેશે તો સારું થઈ જશે તેમ માની ઘરે જવા માટે બાઈક પર નીકળ્યા હતા. આ દરમિયાન ચાલુ બાઈકમાં તેમને ચક્કર આવતા બાઇક પરથી પડી જતા માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેના પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક આવ્યા બાદ બાઈક સ્લીપ થયા હોવાનું અનુમાન તબીબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકભાઈ સોનાના દાગીના ઘડામણનું કામ કરતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે એક ભાઈ અને એક બહેનમાં મોટા હતા. ઉપલેટાના તલાટી મંત્રીને રાજકોટમાં કારચાલકે અડફેટે લીધા સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતાં સામતભાઈ મુળજીભાઈ ગઢવી (ઉ.વ.47)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં કાર ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના મોટાભાઈ દેવાંધભાઈ મૂળજીભાઈ ગઢવી (ઉ.વ.49)જે એક્સ આર્મીમેન છે અને હાલ ઉપલેટા તાલુકામાં તલાટી મંત્રી તરીકે નોકરી કરે છે અને તેઓ રેલનગરમાં જ રહે છે. ગઈકાલ રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ તેમને ભત્રીજા કિશનનો ફોન આવ્યો કે, પપ્પા રાત્રિના 8 વાગ્યાની આસપાસ 150 ફૂટ રીંગ રોડ પરથી ઘરે આવતા હતા ત્યારે નાણાવટી ચોક પાસે અજાણી કારે તેમના બુલેટને સાઈડમાંથી હડફેટે લેતા તેઓ પડી ગયા છે અને માથે-મોઢે ઈજા થતા તેમને 108માં સીવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે જેથી તેઓ તુરંત જ હોસ્પિટલ પહોંચી અને જોતા ભાઈને માથાના ભાગે ઈજા થતાં ચાર જેટલા ટાંકા આવ્યા હતાં જે બાદ ભાઈને વધું સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર અજાણ્યાં કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 9:48 pm

સેલવાસમાં વીજળી પડતા માતા-પુત્રીના મોત:છઠ પૂજાની તૈયારી દરમિયાન વીજળી પડતાં દુર્ઘટના, એક મહિલા ઘાયલ

સેલવાસના પિપરિયા ઘાટ વિસ્તારમાં છઠ પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આકાશી વીજળી પડવાથી એક દુર્ઘટના બની છે. ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં માતા અને પુત્રીનું મોત થયું છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. માહિતી અનુસાર, છઠ પૂજા માટે ઘાટની સફાઈ અને લાકડાં એકઠા કરવા માટે બે મહિલાઓ અને એક બાળકી કેરીના ઝાડની નજીક કામ કરી રહ્યા હતા. તે જ સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન તથા વરસાદ સાથે નજીકના આંબાના વૃક્ષ પર જોરદાર વીજળી ત્રાટકી. આ વીજળીનો આંચકો ઝાડ નીચે ઊભેલી ત્રણેય મહિલાઓને લાગ્યો હતો. આ દુર્ઘટનામાં મમતા બ્રિજ બિહારી પાંડે (ઉંમર 40 વર્ષ) અને સંતોષી કુમારી રવિદાસ (ઉંમર 12 વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નીરા ગીરી (ઉંમર 50 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તમામ પીડિતોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નમો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નમો હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તપાસ બાદ મમતા પાંડે અને સંતોષી કુમારી રવિદાસને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ નીરા ગીરીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેમની હાલત નાજુક જણાવાઈ રહી છે. મૃતક અને ઘાયલ ત્રણેય મહિલાઓ મૂળ બિહારની રહેવાસી છે, જેઓ વર્ષોથી રોજગાર અર્થે સેલવાસ-પિપરિયા વિસ્તારમાં રહેતી હતી. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતકના પરિજનોને સાંત્વના આપી હતી. ટીમે પીડિત પરિવારોને સરકારી નિયમોનુસાર વળતર આપવાની ખાતરી આપી છે. ભારતીય માર્ગદર્શિકા મુજબ, આકાશી વીજળી પડવાથી મૃત્યુ થવાના કિસ્સામાં મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિજનો અને પિપરિયા ઘાટ વિસ્તારમાં પરપ્રાંતીય સમુદાયમાં શોકનો માહોલ છવાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 9:26 pm

બિલ્ડરોની દિવાળી સુધરી:રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ 15,000 કરતા વધુ બિલ્ડીંગોનાં અટકેલા કમ્પ્લીશન સર્ટી મળશે, બાંધકામ ઉદ્યોગને વેગ મળશે

રાજકોટના બાંધકામ ઉદ્યોગ માટે રાહતરૂપ અને દિવાળી સુધારી દે તેવા સમાચાર સામે આવ્યા છે. 15 મહિનાથી રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ આશરે 15,000થી વધુ મિલ્કતો જેવી કે મકાનો, ફ્લેટસ, ઓફીસો અને દુકાનોના બિલ્ડીંગના કમ્પ્લીશન સર્ટીફીકેટ (ભોગવટા પ્રમાણપત્ર) આપવાનું સ્થગિત હતું. આ મામલે શહેરના જુદા-જુદા 12 જેટલા એસોસિએશનો અને સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેને પગલે આખરે 15-16 માસના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારે વહીવટી ગૂંચ ઉકેલીને આ અંગે હકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે આ સ્થગિત થયેલા સર્ટીફીકેટ દંડ ભરપાઈ કરીને મેળવી શકાશે, જેના પગલે ગેમઝોન અગ્નિકાંડ બાદ ફ્લાવર બેડના મુદ્દે ઉભો થયેલો વિવાદનો પણ અંત આવ્યો છે. રાજ્ય સરકારને રાજકોટ શહેરના અલગ-અલગ ધંધા સાથે સંકળાયેલા 12 એસોસિયેશન દ્વારા લોકહિતમાં નિર્ણય લેવા માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. કમ્પ્લીશન સર્ટીફીકેટ ન મળવાને કારણે બાંધકામ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જેના કારણે તેની સાથે સંકળાયેલા નાના-મોટા ધંધાર્થીઓ અને વેપારીઓને મોટો ફટકો પડ્યો હતો. હાર્ડવેર, કિચન એપ્લાયન્સ, રેતી, ઈંટ, કપચી, સિમેન્ટ, લાદી, ઇલેક્ટ્રિક સામાન અને પ્લમ્બિંગ સામાન જેવા આશરે 300થી વધુ નાના-મોટા વ્યવસાયો સાથે સંકળાયેલા હજારો વેપારીઓ કૃત્રિમ મંદીનો સામનો કરી રહ્યા હતા. આવક બંધ થઈ જવાથી કે અત્યંત ઓછી થઇ જવાથી નાણાભીડમાં ફંસાયેલા હતા. ભોગવટા પ્રમાણપત્ર ન મળવાને કારણે નવું બાંધકામ પણ બંધ થઈ ગયું હતું જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા રોજમદાર વર્ગની રોજીરોટી પણ છીનવાઈ ગઈ હતી. મજૂરો, કડિયા, લાદીનું કામ કરતા કારીગરો, કાચા માલ-સામાનની હેરફેર કરતા રિક્ષાવાળા, રેકડી વાળા, ટ્રક-મેટાદોરના ડ્રાઈવર, પ્લમ્બર અને ઇલેક્ટ્રિકના કારીગરો જેવા હજારો લાખો લોકોની રોજમદારી બંધ થઇ જતા તેઓ ગંભીર નાણાકીય મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. આ ઉપરાંત, ઉપરોક્ત લોકોને નાણાકીય ભીડને કારણે આડકતરી રીતે સંકળાયેલા નાના ચાના, પાનના, કરિયાણાના, શાકભાજીના વેપારીઓ જેવા અનેક ધંધાર્થીઓના ધંધાને પણ માઠી અસર પહોંચી હતી. ટીઆરપી અગ્નિકાંડ બાદ નવા બનેલા અંદાજે 15,000 જેટલા યુનિટોનું કમ્પ્લીશન સર્ટીફીકેટ ન મળવાને કારણે મિલકત ખરીદનારા પરિવારોની લોનના હપ્તા અટકી ગયા હતા. ઉપરાંત ખરીદ કરેલી મિલકતમાં રહેવા નહીં જઈ શકવાને કારણે લોનના હપ્તા તેમજ ભાડાનો એમ બંને રીતે આર્થિક માર પડી રહ્યો હતો. અચાનક આર્થિક સંકડામણ આવતા તેઓ નિરાશ થઈ ગયા હતા. જે સામાન્ય લોકોએ ઓફીસ ખરીદી હતી તેઓને સમયસર પોતાની ઓફીસનો કબજો ન મળતા પોતાનો વ્યવસાય સમયસર ચાલુ કરી શકતા ન હતા. જેને લઈને તેઓ નાણાકીય ભીડની સાથે સાથે નિરાશ થઈને ડિપ્રેશનમાં આવી ગયા હતા. ભોગવટા પ્રમાણપત્ર નહીં મળવાને કારણે ખરીદેલ મિલકતના દસ્તાવેજ ન થઈ શકવાથી રાજ્ય સરકારની પણ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની આવકમાં પણ ગાબડું પડ્યું હતું. નવું બાંધકામ અટકી જતા વધારાની એફ.એસ.આઈ. પર સત્તામંડળને ચૂકવવામાં આવતી રકમમાં મોટો ઘટાડો આવતા શહેરનો વિકાસ પણ અટકી ગયો હતો. તેમજ કમ્પ્લીશન સર્ટીફીકેટ નહીં મળવાને કારણે ખરીદેલ મિલકતનું હાઉસ ટેક્સનું રજીસ્ટ્રેશન ન થતા નવા હાઉસ ટેક્સની આવક પણ બંધ થઈ હતી. રાજકોટમાં હજારોની સંખ્યામાં રહેલા નાના-મોટા કારખાનાઓ અને અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓને પણ કમ્પ્લીશન સર્ટીફીકેટ નહીં મળવાને કારણે ખરીદેલી મિલકતમાં હપ્તા અને ભાડાની રકમ એમ બંને રકમનો માર પડતા તેઓ પણ નાણાકીય ભીડ અનુભવતા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડ દરમિયાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મનપા દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા 13 માસમાં 6712 પ્લાન મૂકાયા હતા. જેમાંથી 5077 નાના બાંધકામો માટે BU (કમ્પ્લીશન) આપવામાં આવ્યા હતા. જ્યારે કુલ 107 હાઇરાઇઝમાંથી માત્ર 14ને કમ્લીશન અપાયા હતા. તો 71 જેટલા લો-રાઈઝ બિલ્ડીંગની અરજીઓને પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું ટીપી વિભાગે જણાવ્યું હતું. જોકે આ નિર્ણયની રાહમાં અનેક બિલ્ડરો કમ્પ્લીશન માટેની અરજી કરતા નહોતા. જેને ધ્યાનમાં લઈએ તો છેલ્લા 15 મહિનામાં અંદાજે 15,000 કરતા વધારે બિલ્ડીંગો કમ્પ્લીશન વિનાનાં છે. આ તમામને કમ્પ્લીશન મળવાનો માર્ગ મોકળો બનતા હવે બાંધકામ ઉદ્યોગ ફરી ધમધમતો થશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:56 pm

ખંભાતના યુવકને શિકાર બનાવી લૂંટેરી દુલ્હન ભાગી ગઈ:લગ્ન કરવાના નામે યુવક પાસેથી 1 લાખ રૂપિયા રોકડા, સોના- ચાંદીના દાગીના અને કપડાં લઈને દુલ્હન અને તેની માતા ફરાર

આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા યુવકને લગ્ન કરવાનું કહીને વડોદરામાં રહેતી યુવતી અને તેની માતા રૂપિયા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગળસૂત્ર, કપડા સહિતનો સામાન લઈને ફરાર થઈ ગઈ હતી. યુવકના પરિવારને પાણીગેટ ખાતે ઉભા રાખી માંડવી મંદિરે મંગળસૂત્ર પહેરાવવાનું છે તેમ કહી વરરાજાને લઈ ગઈ. જ્યાં હાર લેવાના બહાને યુવકને નીચે ઉતારી માતા અને પુત્રી રીક્ષામાં ભાગી ગઈ હતી. યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં દુલ્હન અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્ન માટે છોકરી ગોતવા ભુવાજીનો નંબર આપ્યો હતોઆણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા રાજવીર ઉર્ફે રાજુ રમણભાઇ રાઠોડે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા લગ્ન થયેલા ન હોય લગ્ન કરવા માટે મારા ભાણેજ જીતેન્દ્ર કિરીટભાઈ વણકરની પત્ની પારૂલબેને તેઓના ઓળખીતા મીનાબેન મરાઠી (રહે. બાજવા બ્રિજની બાજુમાં વડોદરા)ને મારા લગ્ન માટેની વાત કરી હતી, જેથી મીનાબેન મરાઠીએ મારો મોબાઇલ નંબર મનુભાઈ ભુવાજી નામના વ્યક્તિને આપ્યો હતો. ફરિયાદીને ખંભાતથી વડોદરા છોકરી જોવા લઈને આવ્યાગત 4 સપ્ટેમ્બરના સવારના આશરે 11 વાગ્યાની આસપાસ ભાણેજ પારૂલબેનનો ફોન આવ્યો હતો કે, મામા આપણે વડોદરા છોકરી જોવા જવાનું છે, તમે આવી જાઓ. જેથી હું પારૂલબેનને લઈને બાજવા ગયો હતો અને બાજવાથી મીનાબેન મરાઠીને લઈ મીનાબેન અમને આજવા ચોકડી ખાતે બપોરના 3.30 વાગ્યે લઈ આવ્યા હતા. આજવા ચોકડી આવી મોનાબેને મનુભાઈ ભુવાજીને ફોન કરી આજવા ચોકડી બોલાવેલા અને મનુભાઈ ભુવાજી અમને આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલા ચાચા નહેરૂ નગરમાં રહેતા મીનાબેન જેઓ પગે અપંગ છે તેમના ઘરે લઈ ગયા હતા. જ્યાં એમણે પુજા નામની છોકરી બતાવી હતી. જે છોકરીની માતા મીનાબેન અપંગ છે, તેવી વાત કરી હતી. ભુવાજીએ લગ્ન માટે લેવડ દેવડ કરવી પડશે હોવાનું જણાવ્યુંત્યારબાદ મેં તથા પુજાએ એકબીજાના મોબાઈલ નંબરોની આપ-લે કરી હતી. છોકરી જોઈ ઘરની બહાર નીકળતી વખતે મનુભાઈ ભુવાજીએ મને લગ્ન માટે લેવડ દેવડ કરવી પડશે, જેમાં 2 લાખ રોકડા તથા સોનાની જડ, ચાંદીનું મંગળસુત્ર, ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવા પડશે તેમ જણાવતા અમે મનુભાઈ ભુવાજીને કહ્યું હતું કે, ઘરે જઈને વિચારી તમને ફોન ઉપર જણાવી દઇશું તેમ કહીને અમે ઘર જતા રહ્યાં હતા. ફરીવાર વડોદરા આવો લાખ રૂપિયામાં નક્કી કરી દઈએભુવાજીએ ફોન કરી લગ્નનું શું કરવાનું છે તેમ વાત કરતાં મેં લેવડદેવડ વધારે છે, જેથી મારે લગ્ન કરવું નથી તેમ જણાવ્યું હતું. બે દિવસ પછી પૂજાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ફરીવાર વડોદરા આવો લાખ રૂપિયામાં નક્કી કરી દઈએ તેમ જણાવતા હું તથા મારા મોટાભાઈ જયેશભાઈ પરિજનો સાથે વડોદરા ખાતે મીનાબેનના ઘરે ગયા હતા, ત્યાં મીનાબેન તથા પુજાબેન મળતા એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવાની અને ફુલહાર કરી પુજાબેનને લઈ જજો તેવી વાત નક્કી થઈ હતી. છોકરીને સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના છડા અને દુલ્હનના કપડા આપ્યાત્યારબાદ મીનાબેનને એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના છડા અને દુલ્હનના કપડા આપ્યા હતા. ત્યારબાદ અમે માંડવી જવા નીકળ્યા હતા. હતા. તે વખતે પાણીગેટ પોલીસ સ્ટેશન આવતા મીનાબેને સંબંધીની ગાડી ઉભી રખાવી માંડવી સુધી ગાડી નહીં જાય જેથી તમે ગાડી સાથે બધા પાણીગેટ પોલીસ સ્ટેશન ઉભા રહો, અમે રિક્ષા લઈ માંડવી જઈ મંગળસુત્ર તથા માગ ભરાવી પાછા આવી જઈએ તેમ જણાવ્યું હતું. સોના-ચાંદીના દાગીના સહિત તમામ વસ્તુ લઈ મા-દીકરી ફરારહું તથા મીનાબેન તથા પુજા રિક્ષામાં માંડવી જતા હતા, ત્યારે મીનાબેને માતાજીને ચડાવવા ફૂલ લઈ આવો, તેમ કહેતા હું ફુલહાર લેવા ઉતર્યો હતો. એ વખતે રિક્ષા લઈ ભાગી ગયા હતા. મેં રિક્ષા ઉભી રાખવા બુમો પાડી પરંતુ રિક્ષા ઉભી રાખી નહોતી. આમ લગ્ન કરવાનું કહી યુવતી અને તેની માતા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસૂત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા લઈને ભાગી ગયા હતા. પોલીસે આ લૂટેરી દુલ્હન સહિતની ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:46 pm

દર્દીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો:અડાજન પાટિયા પર 'નશાખોર' એમ્બ્યુલન્સ ઓપરેટર ઝડપાયો, વીડિયો વાયરલ પોલીસે તપાસ શરૂ કરી

સુરતમાં દર્દીઓ માટે જીવનરેખા સમાન ગણાતી એમ્બ્યુલન્સ સેવાના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના અડાજન પાટિયા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દર્દીઓની સુરક્ષા અને એમ્બ્યુલન્સ ચાલકોની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઓપરેટર એમ્બ્યુલન્સ હંકારી શકવાની સ્થિતિમાં નહોતોપ્રાપ્ત માહિતી અનુસાર GJ 05 CW 4228 નંબરની એક એમ્બ્યુલન્સના ઓપરેટરને સ્થાનિક લોકોએ અડાજન પાટિયા પાસે નશાની હાલતમાં પકડી પાડ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ ઓપરેટર એટલો બધો નશામાં ધૂત છે કે, તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નથી અને લોકોના સવાલોનો કોઈ જવાબ પણ આપી શકતો નથી. જ્યારે લોકોએ તેને પકડ્યો ત્યારે તે સ્થળ પરથી બીજી જગ્યાએ જઈને ઊભો થઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 'જાનહાનિ થાય તો જવાબદારી કોણ લેશે?'આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વીડિયોમાં એક સ્થાનિક વ્યક્તિ નશામાં ધૂત ઓપરેટરને સતત સવાલ કરી રહ્યો છે કે: ડ્રિન્ક કરીને નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ નહીં ચલાવો. જો કોઈને જાનહાનિ થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે?લોકોએ સખત ચિંતા વ્યક્ત કરી હતી કે, જ્યાં દર્દીઓના જીવ જોખમમાં હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય, તેવા સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહનનો ચાલક જો નશાની હાલતમાં હશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની સીધી અસર દર્દીના જીવ પર પડશે. આ ઘટનાએ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતી એજન્સીના સુપરવિઝન પર પણ સવાલો ઊભા કર્યા છે. રાંદેર પોલીસે તપાસના આદેશ આપ્યાઆ મામલો અડાજન પાટિયા વિસ્તારનો હોવાથી રાંદેર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાંદેરના PI આર. ચૌધરીએ આ અંગે નિવેદન આપ્યું હતું. PI ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ આ વીડિયો ક્યાંનો છે અને તેમાં કેટલી સત્યતા છે, તે અંગેની તપાસ અમે કરીશું. વીડિયોની સચોટતા અને ઓપરેટરની ઓળખ થયા બાદ તથ્યોના આધારે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો રાંદેર પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ, આ ઘટનાએ સુરતની મેડિકલ ઈમરજન્સી સેવાઓની સુરક્ષા અને કાર્યક્ષમતા સામે લાલબત્તી ધરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:43 pm

મોરબીમાંથી 28.780 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો:કાર સહિત 5.35 લાખનો મુદ્દામાલ જપ્ત, મુંબઈના શખ્સનું નામ ખુલતા વધુ તપાસ શરૂ

મોરબી પોલીસે સાવસર પ્લોટ વિસ્તારમાંથી એક યુવાનને 28.780 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રગ્સ, રોકડ, વજન કાંટો, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. 5,35,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ મુંબઈથી લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડી-સ્ટાફના જયદીપભાઈ ગઢવીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ જે.સી. ગોહિલ અને સ્ટાફે સાવસર પ્લોટ રોડ પર આવેલી વેદાંત દાંતની હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલી GJ 27 C 1316 નંબરની કારને રોકી હતી. કારની તપાસ કરતા તેમાંથી 28 ગ્રામ 780 મિલિગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 2,87,800 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે કારમાંથી ડિજિટલ વજન કાંટો, રૂ.41,800 રોકડા, એક મોબાઈલ ફોન અને રૂ.2 લાખની કિંમતની કાર પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ.5,35,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે યોગેશ રતિલાલ દસાડીયા રહે. હાલ આસોપાલવ સોસાયટી, એપલ હાઈટ્સ એપાર્ટમેન્ટ, બ્લોક નં-102, રવાપર ગામ, ઘુનડા રોડ, મોરબીની ધરપકડ કરી છે.આરોપી યોગેશ દસાડીયાની પૂછપરછમાં તેણે આ ડ્રગ્સ મુંબઈના દહીંસર વિસ્તારમાં રહેતા ચિરાગ પટેલ પાસેથી મેળવ્યું હોવાની કબૂલાત કરી છે. આથી ચિરાગ પટેલનું નામ પણ આ કેસમાં ખુલ્યું છે. મોરબી એ ડિવિઝન પોલીસે યોગેશ દસાડીયા, ચિરાગ પટેલ અને તપાસમાં સામે આવનારા અન્ય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની તપાસ પીએસઆઈ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:43 pm

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ફરી ટ્રાફિક જામ:આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ ત્રણ કિલોમીટરના રોડ પર વાહનનોના થપ્પા લાગ્યા, તહેવાર ટાણે ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા કેટલાક સમય પહેલા જામ્બુઆ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી મુંબઈ અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે 48 પર આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ 3 કિલોમીટરનો ભારે ટ્રાફિક જામ જોવા મળે છે, જેના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની છે. તહેવાર ટાણે ટ્રાફિકથી લોકો હેરાન પરેશાનમહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય સમય પહેલા વરસાદની સિઝનમાં રોડ પર ખાડા પડવાના કારણે વાહનો ધીમે ચાલી રહ્યા હતા, પરંતુ હાલમાં પરિસ્થિતિ ક્યાંક અલગ છે. ચોમાસુ વીતે ઘણા દિવસો થયા છતાં હજુ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે. અવાર નવાર સર્જાતા ટ્રાફિકના કારણે અનેક વાહનચાલકો અને મુંબઈથી આવતા વાહનચાલકો અંકલેશ્વર, ભરૂચ અને હવે વડોદરા પાસે ટ્રાફિકમાં ફસાતા ભારે રોષ ઠાલવી રહ્યા છે. ભારદારી વાહનો લઈને આવતા વાહનચાલકો મુશ્કેલીમાંઆજે ફરી શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજવા ચોકડીથી દુમાડ તરફ અમદાવાદ જતા વાહનો બેથી ત્રણ કલાક ફસાયેલા નજરે પડ્યા હતા. વાહનોની કતારો વચ્ચે ચાલકો ફસાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ગોલ્ડન ચોકડી પાસે ટ્રાફિક વધુ હોવાથી ટ્રાફિક પોલીસ વાહનો રોકી ટ્રાફિક ક્લિયર કરાવતી હોવાથી વધુ ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. આ સમસ્યાને લઈ હાલમાં ભારદારી વાહનો લઈને આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:40 pm

વાંકાનેરમાં ઢુવા માટેલ રોડ પરથી 240 બીયર ટીન જપ્ત:કારમાંથી દારૂ ઝડપાયો, એક પકડાયો, બીજો ફરાર

વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા માટેલ રોડ પરથી એક કારમાંથી ૨૪૦ બીયરના ટીન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં રૂ.3.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અજયસિંહ ઝાલા અને સામતભાઈ છુછીયાને મળેલી બાતમીના આધારે ઢુવા ચોકડીથી માટેલ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી GJ 36 AF 1469 નંબરની કારને રોકવામાં આવતા તેમાંથી રૂ.30,000 ની કિંમતના 240 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બેઠેલા લાલજીભાઈ પ્રવીણભાઈ ડાભી (રહે. સોઓરડી, રામદેવપીર મંદિર પાછળ, ખડીયાવાસ, મોરબી, મૂળ રહે. દુધઈ, તા. જોડિયા) ની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પ્રાથમિક પૂછપરછમાં અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા (રહે. મુળી, જિ. સુરેન્દ્રનગર) નું નામ સામે આવ્યું છે. પોલીસે 3 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ.3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:39 pm

મહિલા પોલીસે પતિ અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો'તો:અવાર નવાર ઝઘડો કરી પતિ માર મારતો, સાસુએ જાહેરમાં ફડાકા ઝીંકી દીધા હતા, કંટાળીને ઝેરી દવા પી અંતિમ પગલુ ભરી લીધુ’તું

• આજી ડેમ પોલીસે મરવા મજબૂરની કલમ હેઠળ ગુનો નોંધ્યો રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસે કરેલા આપઘાત કેસમાં પોલીસે મરવા મજબુર કરવા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસના પતિ અને સાસુ વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી કંટાળી ઝેરી દવા પી અંતિમ પગલુ ભરી લીધાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હર્ષિતાબેનની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ રાજકોટના ભીમનગર ચોક પાસે આવેલ વાંબે ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા મુળ જામજોધપુરના જામવાડી ગામના વતની ગંગાબેન વિનોદભાઈ ધૂળા (ઉ.વ.48)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હર્ષ મનુ ભારડીયા અને ચંપાબેન મનુ ભારડીયાનું નામ આપતા આજીડેમ પોલીસે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે ફરિયાદમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરે છે તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે જેમાં સૌથી મોટી દીકરી હર્ષીતાબેનના લગ્ન 8 વર્ષ પહેલા તેણીના જુનાગઢ રહેતા નણંદના પુત્ર હર્ષ ભારડીયા સાથે થયા હતા તેને સંતાનમાં 6 વર્ષનો પુત્ર છે. જે પતિ અને પુત્ર સાથે કોઠારીયામાં શિવ ભવાની ચોક પાસે આવેલ સીલ્વર સ્પેસ નામના ફલેટમાં સાતમાં માળે રહેતી હતી અને તે બે વર્ષથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. 8 સપ્ટેમ્બરના રોજ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ હતી ગઈ તા.08.09.2025ના બપોરના 1.30 વાગ્યાની આસપાસ ફરીયાદી નોકરી પર હતા ત્યારે તેમના પતિ તેની પાસે આવી અને કહ્યું કે જમાઈ હર્ષકુમારનો ફોન આવ્યો હતો કે આપણી દીકરી હર્ષીતાએ ઘરે ઝેરી દવા પી લીધી છે અને તેને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ આવ્યા છે જેથી તેઓ બન્ને તુરંત જ હોસ્પીટલ દોડી ગયા હતા ત્યા જઈ જોયું તો દીકરી બેભાન હાલતમાં સારવાર હેઠળ હતી. ત્યારે હાજર તેમના જમાઈએ જણાવ્યું કે સવારના 10 વાગ્યે હું ઘરે રસોડામાં ચા બનાવતો હતો અને હર્ષીતી તથા પુત્ર બન્ને રૂમમાં હતા ત્યારે એમનો પુત્ર દોડી આવી અને જણાવ્યું કે મમ્મીને ઉલ્ટી થાય છે જેથી હું દોડીને હર્ષીતી પાસે ગયો અને જોયેલ તે ઉલ્ટી ઉબકા કરતી હતી અને તેની પાસે કોઈ ઝેરી દવાનું પાઉચ પડેલ હતું જેથી તુરંત 108માં ફોન કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ પછી હર્ષીતીને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તા.7.10.2025ના રોજ ફરજ પરના તબીબે હર્ષીતીને મૃત જાહેર કરી હતી. હર્ષિતાએ માતાને પતિ તેમજ સાસુ ત્રાસ આપતા અંગે જાણ કરી હતી ગઈ તા.6.09.2025 ના રોજ હર્ષીતા માવતરના ઘરે આવી જણાવ્યું હતું કે હર્ષ તેની માતાની વાતોમાં આવી અવાર નવાર મારી સાથે ઝઘડો કરે છે અને માર મારે છે. અગાઉ પણ પાંચેક વખત પતિ અને સાસુના ત્રાસથી કંટાળી રીસામણે આવી હતી. જે ત્રાસથી કંટાળીને અંતિમ પગલુ ભરી લેતા ફરીયાદ નોંધાવતા બનાવ અંગેની ફરીયાદ પરથી આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:38 pm

કારચાલકે બાઇકસવારોને વાળ પકડી ઢસડ્યો:બ્રેક મારવાને કારણે થયેલા ઝઘડામાં કારનો પીછો કરનાર ચાર યુવકોની બાઈકને ટક્કર મારી, સાગરીતો સાથે મળી ઢોર માર માર્યો

સુરતના સિંગણપોરમાં આગળ જઈ રહેલા કારચાલકે બ્રેક મારવાને કારણે થયેલા ઝઘડામાં કારનો પીછો કરનાર ચાર બાઇકસવાર યુવકોની બાઈકને ટક્કર મારી જાહેરમાં વાળથી ઘસડી ઢોર માર માર્યો હતો, જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ પ્રકરણમાં પોલીસે ત્રણ માથાભારે શખ્સોની ધરપકડ કરી હતી. હુમલામાં બે યુવકોને આંગળીમાં ફ્રેક્ચર અને એકને હાથમાં ટાંકા પણ આવ્યા હતા. યુવકોએ માંડ બાઇક કાબૂ કરી અકસ્માત થતો રોક્યોમળતી માહિતી પ્રમાણે, પુણાગામ ઓમકાર સોસાયટી-2માં રહેતા રવિ દીપક લકુમ (ઉ.વ. 20) ગત 12એ બપોરે અઢી વાગ્યે પિતરાઇ વિમલ સાથે પીપલોદની દુકાને મોજાનો જથ્થો મૂકવા બાઈક પર જઈ રહ્યા હતા. સિંગણપોર જયરાજ સર્કલ પાસે આગળ જતી કારના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં આ યુવકોએ માંડ બાઇક કાબૂ કરી અકસ્માત થતો રોક્યો હતો. કારને રોકવાની કોશિશ કરતા બાઈકને ટક્કર મારી દીધીકારચાલકને ઠપકો આપવા જતાં તેમાં બેસેલા શખ્સે ઝપાઝપી કરી વિમલના શર્ટના બટન તોડી નાંખ્યા હતા. જેથી બંને યુવકોએ કારનો પીછો શરૂ કર્યો હતો. બીજા બે પિતરાઈ ધવલ અને ઉત્સવને પણ બાઇક લઈ બોલાવી લીધા હતા. ડભોલી બી.આર.ટી.એસ. સકલ પાસે કારને રોકવાની કોશિશ કરતાં ઉત્સવની બાઇકને ટક્કર મારી દેવાઈ હતી. આરોપી ત્રણ સાગરીતો સાથે યુવકો પર બેરહેમીપૂર્વક તૂટી પડ્યોજે બાદ એક કિલોમીટર દૂર ગોગા મહારાજ મંદિર પાસે કારચાલક બીજા ત્રણ સાગરીતો સાથે યુવકો પર બેરહેમીપૂર્વક તૂટી પડ્યા હતા. ઉત્સવ અને ધવલની હાથની આંગળીઓ ફ્રેક્ચર કરી નાંખી હતી. વિમલને પણ હથેળીમાં ચાર ટાંકા આવ્યા હતા. એક બાઇકની પણ તોડફોડ કરી આતંક મચાવતાં મામલો સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ, એક ફરારસિંગણપોર પોલીસે ચાર હુમલાખોરો પૈકી મીત ઉર્ફે ભોલો ધીરૂ દેસાઈ (શ્યામદર્શન સોસા., ડભોલી રોડ), રવિ તેજા રબારી (વિષ્ણુનગર, વેડ રોડ) અને મન ઉર્ફે ભયલુ કાનજી દેસાઈ (વિહાર સોસા., વેડ રોડ)ની ધરપકડ કરી હતી. ત્રણની ધરપકડનું જાણ્યા બાદ ઉત્રાણનો ભગીરથ રાઠોડ ફરાર થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:24 pm

મહીસાગર જિલ્લામાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ:ત્રણ સરકારી કર્મચારીઓના આગોતરા જામીનને હાઈકોર્ટે ફગાવ્યા, CID ક્રાઈમ વડોદરાએ 12 આરોપી સામે નોંધ્યો હતો ગુનો

ચાલુ વર્ષે જૂન મહિનામાં CID ક્રાઈમ પોલીસ મથક વડોદરા શહેર ખાતે કુલ 12 આરોપીઓ સામે નલ સે જલ કૌભાંડનો ગુનો નોંધાયો હતો. આરોપીઓએ 2019થી 2023 દરમિયાન મહીસાગર જિલ્લાના 620 ગામોમાં પાણીની પાઇપો નાખવાના કામ કાગળ ઉપર બતાવીને અને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને સરકારને 123 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. વળી આ આરોપીઓ સરકારી કર્મચારીઓ છે. ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતીઆરોપીઓ પૈકી અમિત પટેલ, દશરથ પરમાર અને પાર્થ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટ સમક્ષ આરોપી અને સરકાર દ્વારા રજૂઆતો થઈ હતી કે, ફરિયાદ દોઢ વર્ષ મોડી કરવામાં આવી છે. પાણી કમિટીના સભ્યો 7.50 લાખ સુધીના કામ મંજૂર કરી શકે છે. તેનાં કરતાં વધુ રકમના કામ માટે ટેન્ડર બહાર પાડવું પડે છે. કામની દેખરેખ જુદા જુદા વિભાગો કરતા હોય છે. આ કેસમાં કોઈ ગામના સરપંચ કે તલાટીને આરોપી બનાવાયા નથી. પ્રથમદર્શી સંડોવણી દેખાયતા કસ્ટોડિયલ પૂછપરછની જરૂર: હાઇકોર્ટઆ યોજના મહીસાગર જિલ્લાના ભલા માટે હતી. 445 ગામોમાં પાઇપ ખરીદીના ખોટા બિલ બનાવવામાં આવ્યા છે. 4780 કિલોમીટર પાણીની પાઇપલાઇન નાખવાના ડોક્યુમેન્ટ સામે 2480 કિલોમીટર જ પાઇપલાઇન નાખવામાં આવી છે. 13 ગામોમાં ટેન્ડર વગર જ કામ થયું હતું. 74 ગામને પાઇપો જ મળી નથી. શરૂઆતની તપાસમાં 570 બિલ ખોટા નીકળ્યા છે. 31 કંપનીના 445 બિલ ખોટા નીકળ્યા છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓની ગુનામાં પ્રથમદર્શી સંડોવણી દેખાય છે. તેમની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. તેમની આગોતરા જામીન અરજી નકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:14 pm

અમદાવાદમાંથી કોરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ:રામોલ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિને પક્ડયો, આસારામ આશ્રમમાં રહેતા વ્યક્તિ પાસેથી 1.02 કરોડની રોકડ જપ્ત કરી

અમદાવાદમાં રામોલ પોલીસે એક કરોડ બે લાખની બિન હિસાબી રોકડ રકમ જપ્ત કરી છે. રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેની તપાસ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન યુપીના સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહની પાસેથી એક કરોડ બે લાખની રોકડ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ પૂછપરછમાં આરોપી મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. જેથી રામોલ પોલીસે BNSS કલમ 106 હેઠળ રૂપિયા કબ્જે કરી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન રામોલ પોલીસને મોટી સફળતા મળીદિવાળીના તહેવાર દરમિયાન હવાલા અને બિનહિસાબી નાણાની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જેથી સર્વે સ્કોડના માણસો રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સ પાસે વાહનોની ચકાસણી કરી રહ્યા હતા. જે દરમિયાન રામોલ પોલીસને મોટી સફળતા મળી હતી. શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક કરોડ બે લાખની રકમ મળીવાહન ચેકિંગ દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી. જે દરમિયાન મુસાફરોની ચકાસણી કરતા એક વ્યક્તિ શંકાસ્પદ રીતે નીચે ઉતર્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેની ચકાસણી કરતા આરોપી સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહ પાસેથી એક કરોડ બે લાખની રોકડ રકમ મળી આવી હતી. જે બાદ પોલીસે આરોપી પાસેથી રોકડ રકમના આધાર પુરાવા માંગતા એક કરોડ બે લાખ રૂપિયાનો કોઈ હિસાબ મળી આવ્યો નહતો. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહ નામ હોવાનું અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું ખુલ્યુંપોલીસને વધુ શંકા જતા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા આરોપી સમશેરબહાદુર ઉર્ફે વિનય સિંહ અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું પણ ખૂલ્યું છે. જે બાદ એક કરોડ બે લાખ રૂપિયા જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આટલી મોટી રકડ ક્યાંથી આવી હતી તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 8:10 pm

આપના OBC પ્રદેશ અધ્યક્ષની આજે ધરપકડ:બોટાદ ઘર્ષણ મામલે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષ સિંધવ 4 દિવસના રિમાન્ડ પર

બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટી (AAP)ના OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ પિયુષ લખુભાઈ સિંધવની આજે ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, અગાઉ ધરપકડ કરાયેલા AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સાથે સિંધવને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે ત્રણેય આરોપીઓના વધુ તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બોટાદ કોર્ટે ત્રણેય વ્યક્તિઓના ૨૦ ઓક્ટોબર સુધી, એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘર્ષણ ૧૨ ઓક્ટોબરે હડદડ ગામે ગેરકાયદેસર રીતે યોજાયેલી મહાપંચાયત દરમિયાન થયું હતું. આ ઘટનામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો. પોલીસે આ મામલે કુલ ૮૫ લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી અત્યાર સુધીમાં ૬૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ૧૭ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:55 pm

Editor's View: 19 મંત્રીઓ આવ્યા, 10 ઘરભેગા:ભાજપમાં પાર્ટી અને પરફોર્મન્સ જ સર્વોપરી, કામ કરે તેને સિરપાવ, કેસરિયા પાર્ટીની કોર્પોરેટ કંપની જેવી સ્ટ્રેટેજીને સમજો

ભાજપના મંત્રીમંડળમાં ફેરફાર થઈ ગયો. નવા 19 મંત્રીઓ આવ્યા ને જૂના 10 મંત્રીઓને 'ઘરભેગા' કરી દેવાયા. કોણ મંત્રી બન્યું, કોને ક્યું ખાતું મળ્યું, તેમાં આપણે નથી પડવું. પણ સવાલ એ છે કે દિવાળી પહેલાં જ ભાજપે પોતાના 'હોમ ટાઉન' ગણાતા ગુજરાતમાં અચાનક ફેરફાર કરવાની શું જરૂર પડી? આના ત્રણ મુખ્ય કારણો છે. નમસ્કાર, ભાજપ કોઈપણ ધારાસભ્ય કે મંત્રીને હાંસિયામાં ધકેલીને, નવા ચહેરાને તક આપીને આગળ વધે છે. ભાજપ પાસેથી આ વાત દરેક પોલિટિકલ પાર્ટીએ શીખવા જેવી છે કે પાર્ટીમાં વ્યક્તિનું મહત્વ નથી. પાર્ટી જ સર્વોપરી છે. તમે આજે પાર્ટીમાં છો, મંત્રી છો... પણ કાલે ન પણ હો એવું ય બને. કોંગ્રેસે ક્યારેય ગુજરાતના માળખાંમાં ફેરફાર કરવાની હિંમત કરી નથી અને એટલે જ ગુજરાતમાં તે ત્રણ દાયકાથી પગ જમાવી શકી નથી. ભાજપે મંત્રીમંડળમાં એકાએક ફેરફાર કેમ કર્યો? ભાજપની આ પોલિસી જ રહી છે કે યોગ્ય સમય થાય ત્યારે 'સાવરણો' ફેરવી દેવાનો. આમ જુઓ તો ભાજપની કોર્પોરેટ કંપની જેવી સ્ટ્રેટેજી છે. કોર્પોરેટ કંપની દરેક કર્મચારીનું મોનિટરિંગ કરે છે કે કોણ, કેટલું કામ કરે છે. કોણ પોતાના રોટલા શેકે છે. આ બધું ઓબ્ઝર્વેશન કર્યા પછી જ કંપની એક્શન લે છે. આવું જ ભાજપમાં છે. એક સમયે બીજી પાર્ટીઓ પણ નોન પર્ફોર્મર મંત્રીઓને દરવાજો દેખાડી દેતી હતી. ગુજરાતમાં છેલ્લા 62 વર્ષમાં 28 વખત મંત્રીમંડળના વિસ્તરણ થયું. ખાસ કરીને 1962થી 1994 સુધીમાં 12 વખત મંત્રી મંડળનું વિસ્તરણ થયું. ગુજરાતમાં 1995માં કેશુભાઈ પટેલની આગેવાનીમાં ભાજપ સત્તા પર આવ્યા પછી શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે થોડો સમય વિક્ષેપ પડ્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિ શાસનનો દોર પણ આવી ગયો. પરંતુ માર્ચ 1998માં કેશુભાઈ પટેલ ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભાજપે નિરંતર સત્તા જાળવી રાખી છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ આનંદીબહેન અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યાં, પણ બંનેનો કાર્યકાળ પૂરો થાય તે અગાઉ અધવચ્ચેથી રાજીનામાં આપી દીધાં હતાં. સપ્ટેમ્બર 2021થી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, જેમની આગેવાનીમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી પણ જીત્યો. કોંગ્રેસમાં 12 વખત વિસ્તરણ થયું 1962માં ગુજરાતમાં પહેલી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારથી આજ સુધી 28 વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયું. 1965માં સપ્ટેમ્બરમાં બળવંતરાયની જગ્યાએ હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું. ઓગસ્ટ 1973માં ચીમનભાઈ મુખ્યમંત્રી બન્યા પછી 1985 અને 1990માં પણ વિસ્તરણ થયું હતું. ભાજપના શાસનમાં 16 વખત વિસ્તરણ થયું ઓક્ટોબર 1995માં કેશુભાઈની જગ્યાએ સુરેશ મહેતા અને ઓક્ટોબર 1996માં શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા ત્યારે મંત્રીમંડળ બદલાયું હતું. એ જ રીતે ઓક્ટોબર 1997માં દિલીપ પરીખ અને ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી 2003 અને 2006માં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. 2008થી 2025 વચ્ચે 9 વખત મંત્રીમંડળ બદલાયું આમ જુઓ તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ચાર વખત મંત્રીમંડળ બદલાયું હતું. ઓગસ્ટ 2010માં, સપ્ટેમ્બર 2011માં પણ મોદી વખતે મંત્રીમંડળમાં ફેરફાર થયા હતા. એ પછી ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા તેના સહિતનું મંત્રીમંડળ બદલાયું હતું ને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. 2021માં વિજય રૂપાણી સહિતના મંત્રીઓ બદલાઈ ગયા હતા અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ને આખું મંત્રીમંડળ બદલાઈ ગયું હતું. આનંદીબેન ને વિજય રૂપાણી બદલાયા હતા, ભૂપેન્દ્ર પટેલ ન બદલાયા 2016 અને 2021માં જ્યારે ગુજરાતનું મંત્રી મંડળ બદલાયું ત્યારે બંને વખત મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા હતા. આ વખતે જ્યારે મંત્રી મંડળ બદલવાની વાત આવી ત્યારે એવું લાગતું હતું કે ભૂપેન્દ્ર પટેલ સહિતનું મંત્રી મંડળ બદલાઈ જશે પણ એવું થયું નહિ. એનું કારણ છે કે ભૂપેન્દ્ર પટેલ સ્વચ્છ છબિ ધરાવે છે અને ગુજરાતનું સુકાન બરાબર સંભાળી રહ્યા છે. આનંદીબેન વખતે તેમને હાર્દિક પટેલનું આંદોલન નડી ગયું હતું. 4 વર્ષ પહેલાં 2021માં ભાજપ હાઇકમાન્ડે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખી સૌને ચોંકાવ્યા હતા. કોઇને અંદાજો પણ ન આવે એ રીતે સર્જાયેલા આખા ઘટનાક્રમમાં વિજય રૂપાણી રાજીનામું આપવા રાજભવન પહોંચી ગયા હતા. તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નેતૃત્વમાં 2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક પર ઐતિહાસિક જીત મળી હતી. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પણ ગંભીરતાથી લે છે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી જ અગત્યની. બાકી બધી ચૂંટણીઓ તો ઠીક. એવું ભાજપમાં નથી. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને એટલું જ મહત્વ આપે છે જેટલું વિધાનસભાની ચૂંટણીને. 2025ની શરૂઆતમાં થયેલું સીમાંકન અને હવે મંત્રી મંડળમાં ફેરફાર પણ આ જ સ્ટ્રેટેજીનો એક ભાગ છે. ભાજપ જનમાનસ અને જનઆક્રોશ વચ્ચેના ભેદને બરાબર સમજે છે. એટલે ગ્રાસરૂટ લેવલે કામ કરે છે. તેમની પેજપ્રમુખની ફોર્મ્યુલા કામ કરી ગઈ છે. બીજું, બીજી કોઈ પોલિટિકલ પાર્ટીની જેમ ભાજપના નેતાઓ પાર્ટી સામે બાંય ચડાવતા નથી. મને મંત્રી તરીકે કેમ કાઢ્યો, કે પેલાને મંત્રીપદ કેમ આપ્યું? એવી માથાકૂટ ભાજપમાં જોવા મળતી નથી. ભાજપનો આ જ શિષ્ટાચાર છે અને તેના મૂળમાં સંઘના લક્ષણો પડ્યા છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગંભીરતાથી લે છે તે એના પરથી ખ્યાલ આવે છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હતું કે સરકારે એકસાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો હોય. 2025ની શરૂઆતમાં જ આ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલાં ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા હતી. હવે એ સંખ્યા વધીને 17 થઇ ગઇ છે. એનો મતલબ એવો થયો કે 2025ના પહેલા દિવસથી જ ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું હતું. અત્યારે જે ફેરફારો થયા તેમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જ ધ્યાનમાં રાખવામાં આવી છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણીને જેટલું મહત્વ ભાજપ આપે છે તેટલું જ મહત્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અપાય છે. કારણ કે ભાજપ જાણે છે કે મૂળિયાં મજબૂત હશે તો વૃક્ષ લાંબો સમય અડીખમ ઊભું રહેશે. નવું સીમાંકન જાહેર થયું ત્યારથી જ ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. પાલિકા, પંચાયતો અને કોર્પોરેશનની ચૂંટણીઓને પણ ભાજપ ગંભીરતાથી લે છે. ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની સંખ્યા કેટલી છે? ભાજપે મંત્રીમંડળમાં OBCને વધારે મહત્વ આપ્યું, કારણ કે... ભાજપે મંત્રી મંડળમાં જ્ઞાતિ આધારિત ફેક્ટરનું ખાસ ધ્યાન રાખ્યું છે. પ્રદેશ ભાજપ-પ્રમુખ તરીકે OBC ચહેરાને સ્થાન આપ્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ OBCનો દબદબો જોવા મળશે. નવા મંત્રીમંડળમાં OBC સમાજના સૌથી વધુ 8 મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે પાટીદાર સમાજના 7 મંત્રી રહેશે. મંત્રીમંડળમાં બે દલિત મહિલાની સાથે કુલ ત્રણ મહિલાને સ્થાન અપાયું છે. ભૂપેન્દ્ર પટેલના આ પહેલાંના મંત્રીમંડળની વાત કરીએ તો એમાં પાટીદાર સમાજના 4 મંત્રી હતા, એની સામે આ વખતે 7 મંત્રી બન્યા છે. ઓબીસીના 6 હતા, એની જગ્યાએ 8 મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં દલિત સમાજનું વજન પણ વધ્યું છે. જૂના મંત્રીમંડળમાં જ્યાં દલિત સમાજનો ફ્કત એક મંત્રી હતા, એની જગ્યાએ આ વખતે ત્રણ મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌથી વધારે OBC ફેક્ટરને મહત્વ આપવાનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતમાં ઓબીસી સમુદાયની લગભગ 52 ટકા વસ્તી છે. એમાંથી મહાનગરોમાં ઓબીસી સમુદાયની વસ્તી 40% છે. જ્યારે 160 જેટલી નગરપાલિકાઓમાં 54 ટકા વસ્તી છે. OBCની કુલ વસ્તીના 22% કોળી સમુદાય છે. ભાજપમાં ઓબીસી સમુદાયના 50 જેટલા ધારાસભ્યો છે. ઓગસ્ટ-2023માં ભાજપે OBC સમુદાયને 27% અમાનત આપવાની જાહેરાત કરી હતી. ભાજપનું ફોક્સ યુવાનોની ફોજ તૈયાર કરવાનું નવા મંત્રીમંડળમાં મંત્રીઓની ઉંમરમાં પણ સરેરાશ 5 વર્ષનો ઘટાડો થયો છે. આ પહેલાંના મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી, એની જગ્યાએ હવે 5 વર્ષ ઘટીને 55 વર્ષ થઈ છે. હર્ષ સંઘવી, રીવાબા જાડેજા, પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા તો એવા મંત્રીઓ છે જેની ઉંમર 40 કે તેથી ઓછી છે. ઉંમરને ધ્યાનમાં રાખીને જે રીતે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે એ જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપનું ફોકસ ગુજરાતમાં નવી પેઢીને તૈયાર કરવાનું છે. હર્ષ સંઘવી ડેપ્યુટી CM કેવી રીતે બની ગયા? 4 પોઈન્ટમાં જાણો 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ ફેરફાર કરાયો છે. ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગણાતા આ મંત્રીમંડળના ફેરબદલમાં, ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ગુજરાતના ડેપ્યુટી સીએમ બનાવી દેવાયા છે. 40 વર્ષીય હર્ષ સંઘવી જૈન સમાજમાંથી આવે છે. હર્ષ સંઘવી 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે વિધાનસભામાં ચૂંટાયા હતા. તે ગુજરાતના સૌથી યુવા ગૃહમંત્રી પણ છે. હવે તેમને ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીનું રદ અપાયું છે. ભાજપના ધૂરંધરો પણ માથું ખંજવાળે છે કે કોઈ સિનિયર કે જૂની પેઢીનામાંથી કોઈને નહિ ને 40 વર્ષના હર્ષ સંઘવીને કેમ નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા? તો એની પાછળના ચાર મુખ્ય કારણો છે… 8 ધોરણ પાસ હર્ષ સંઘવી ભાજપમાં કેવી રીતે આવ્યા? મૂળ જૂના ડીસાના જૈન પરિવારમાં જન્મેલા હર્ષ સંઘવીને પિતા રમેશભાઈ સંઘવી હીરાના કામ માટે ડીસાથી સુરત સ્થાયી થયા અને ત્યાં જ પ્રગતિ કરી. તેમના પિતા હીરાનું કારખાનું (ગિરનાર કોર્પોરેશન) ચલાવતા હતા. હર્ષ સંઘવીએ કેમ 8 ધોરણ બાદ ભણતર છોડ્યું એની પાછળનું કારણ તેમના પર આકસ્મિક રીતે આવી પડેલી જવાબદારી છે. તેમનાં માતા બીમાર હતા ને હોસ્પિટલમાં દાખલ હતા. પિતા તેમની સેવામાં વ્યસ્ત હતા એટલે હર્ષભાઈએ 8 ધોરણ સુધીનો અભ્યાસ છોડીને પિતાનો વ્યવસાય સંભાળવો પડ્યો. અભ્યાસ છોડ્યા બાદ જ હર્ષ સંઘવીને રાજકારણમાં આવવાની ઈચ્છા હતી, જ્યાં તેમનો પરિચય સંઘના સ્વયંસેવક જયદીપભાઈ ત્રિવેદી સાથે થયો. તેમના માર્ગદર્શનમાં હર્ષ સંઘવી સંઘમાં જોડાયા. ગુજરાતમાં નર્મદા આંદોલનમાં મેઘા પાટકર સામે રેલી કાઢીને હર્ષ સંઘવી ચર્ચામાં આવ્યા. આ સફળ કાર્યક્રમથી સુરતમાં હર્ષ સંઘવીની રાજકીય શરૂઆત થઈ. હર્ષ સંઘવી શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક સતત વધતો રહ્યો અને મહત્ત્વની જવાબદારીઓ સુપેરે પાર પાડતા ગયા. 2012માં 27 વર્ષની ઉંમરે પહેલીવાર ભાજપે વિધાનસભાની ટિકિટ આપી ને ચૂંટણી જીત્યા હતા. અમિત ચાવડાની સીધી વાત, કહ્યું- ચહેરા બદલવાથી પાપ ધોવાતા નથી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળે શપથ લીધા પછી કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે. એનો અર્થ એવો થયો કે બિહારની ચૂંટણી પછી કેપ્ટન પણ બદલાશે. ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. 50 ટકા મંત્રીઓ પડતા મુક્યા એનો મતલબ CMની આ ટીમ ફેઈલ હતી. આખી સરકાર પોલિસી પેરાલીસીસથી પીડિત છે. જેમનું પોતાના સમાજમાં નામ છે પણ કહ્યાગરા નથી એવા જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને તક મળી નથી. બચુ ખાબડ પર મનરેગા, બળવંતસિંહ રાજપૂત પર GIDC, ભીખુસિંહ BZ કૌભાંડમાં, મુકેશ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સના કૌભાંડમાં સંડોવાયેલા હતા. અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરવહીવટની ફરિયાદો આવી તો પણ અઢી વર્ષ સુધી ભાજપ સરકારે કોઈ કાર્યવાહી ન કરી. ભાજપે વિકાસ સપ્તાહની ઉજવણી કર્યા પછી સરકારને ખબર પડી કે વહીવટ તો ખાડે ગયો છે. ભાજપની નીતિ અને નિયત જનતા ઓળખી ગઈ છે ચહેરા બદલવાથી પાપ ધોવાતા નથી, અને મંત્રી મંડળના ફેરફારથી લોકોને ફેર પડવાનો નથી. પણ કોંગ્રેસ એ સમજવાની જરૂર છે કે ભાજપમાં સમયાંતરે ફેરફાર અને પરિવર્તન થયા કરે છે. જે કોંગ્રેસમાં થતું નથી. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થયું. બધાને એમ હતું કે કોંગ્રેસ ગુજરાતમાંથી છાપેલ કાટલાંને કાઢશે પણ એવું થયું નહિ. કોંગ્રેસ અહિ જ પાછી પડે છે. છેલ્લે, ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ગુજરાત સરકારમાં પાંચ નાયબ મુખ્યમંત્રી થયા છે. હર્ષ સંઘવી છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બન્યા. 1972માં ચીમન પટેલ અને કાંતિલાલ ઘીયા બન્યા. 1990માં કેશુભાઈ પટેલ, 1994માં નરહરિ અમીન અને 2021માં નીતિન પટેલ હતા. આ બધામાં સૌથી નાની વયે નાયબ મુખ્યમંત્રી બન્યા હોય તો એ નરહરિ અમીન હતા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:55 pm

સુરતમાં રેલવે સ્ટેશને ભીડ વચ્ચે સફળ કામગીરી:નવજીવન એક્સપ્રેસમાં ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસી બે મહિલાને ઝડપી, 2.14 લાખનો મુદ્દામાલ સાથે ચોરીના બે રીઢા આરોપીઓ ઝડપ્યા

સુરતમાં હાલ દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે સ્ટેશન ઉપર ભાવે ભીડ જોવા મળી રહે છે તેની વચ્ચે રેલવે પોલીસ (GRP ) દ્વારા નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી 2.11 લાખના 21.120 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસી બે મહિલાને રેલવે પોલીસે ઝડપી પાડી હતી. આ સાથે સેલવાસ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત રૂ. 2.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મળેલી માહિતી મુજબ, સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ અને આર.પી.એફ. સ્ટાફ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે ટ્રેન નં. 12656 નવજીવન એક્સપ્રેસમાં પેટ્રોલિંગ દરમિયાન બે મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ચાર બેકપેક સાથે ઝડપી પાડવામા આવી હતી. પૂછપરછ દરમિયાન બેગોમાંથી વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજો મળતાં બંને મહિલાઓને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01 પર ઉતારી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. જ્યા મહિલાઓની ચિરસ્મીતા વિદેશી પરીડા, (ઉંમર 28 વર્ષ, રહે – ગંજામ, ઓડિશા) તેમજ કુન્ની પાઢી પુરનાચંદ પાઢી, ઉંમર 50 વર્ષ, રહે - ગંજામ, ઓડિશા) હોવાનું ઓળખ થયું હતું. તેમની પાસેથી પોલીસે ચાર બેગોમાંથી કુલ 2.11 લાખના 21.120 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. સુરત પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.વ્યાસના માર્ગદર્શન હેઠળ, ઉધના આઉટ પોસ્ટના પોલીસ કર્મચારીઓએ રેલવે સ્ટેશન પર આવતી-જતી ટ્રેનો પર ચાંપતી નજર રાખી હતી. આ દરમિયાન, ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સુરત તરફના છેડેથી બે આરોપીઓ આદિલ મહેબુબભાઈ મલેક અને મહેશ મહેન્દ્રભાઈ રાઠોડ (બંને રહે. કુંભારવાડા, ભાવનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના ખીસ્સા અને બેગમાંથી 2.14 લાખ રૂપિયાના ભારતીય ચલણી નોટો, પરચુરણ સિક્કા તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સેલવાસ ખાતે એક બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:47 pm

વાઘ બારસથી દિવાળી પર્વનો પ્રારંભ:વૈજનાથ દાદાને વાઘ બારસનો વિશેષ શણગાર અર્પણ કરાયો

આજથી દિવાળીના પવિત્ર પર્વનો પ્રારંભ થયો છે. આ અવસરે હિંમતનગરના રાયગઢ ખાતે આવેલા વૈજનાથ દાદાના મંદિરે દાદાને વાઘ બારસ નિમિત્તે વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ શણગારમાં કાળા રંગનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાદાને વાઘના ચિત્ર સાથે બપોરિયા, કોઠી અને ચકરડી જેવા ફટાકડા ગોઠવીને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા હતા. આ શણગાર દિવાળીના પ્રારંભની ઉજવણી દર્શાવે છે. રાયગઢ સ્થિત વૈજનાથ દાદાના મંદિરમાં શ્રાવણ માસ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ તહેવારો નિમિત્તે અલગ અલગ પ્રકારના શણગાર કરવાની પરંપરા છે. શુક્રવારે કરવામાં આવેલો આ શણગાર પણ આ પરંપરાનો એક ભાગ હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:39 pm

દિવાળી પહેલા લાખોનો દારૂ ઝડપાયો:જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ખામધ્રોળમાં સ્કોર્પિયો માંથી ₹ 12,76,640 ના દારૂ સહિતના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડ્યા,બે બુટલેગરો ફરાર

નશાનો કાળો કારોબાર જૂનાગઢમાં ફેલાઈ તે પહેલા જજુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના ત્રણ બુટલેગરોને લાખોના દારૂ સાથે ઝડપી પાડ્યા છે.જૂનાગઢે વિદેશી ,દેશી દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા કડક સૂચના આપી હતી.જેને લઇ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમે ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને કુલ ₹ 12,76,640/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ દરોડામાં પીએસઆઈ. ડી.કે. સરવૈયા,પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા અને પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી, જેઠાભાઈ કોડીયાતરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.​​ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ પાસે રહેતો યશ મેરામણભાઈ કટારા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના રહેણાંક મકાન પાસે હેરાફેરી કરી રહ્યો છે.બાતમીના ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ખામધ્રોળ, ગ્રામ પંચાયત ઓફિસ પાસે આવેલ શેરીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્રણ ઇસમો સ્કોર્પિયો ગાડીમાંથી દારૂની પેટીઓ ઉતારીને હેરાફેરી કરતા ઝડપાયા હતા.​ પકડાયેલા ત્રણેય ઇસમોની પૂછપરછમાં આરોપી યશ મેરામણભાઈ કટારાએ કબૂલ્યું હતું કે તેણે આ દારૂનો જથ્થો જૂનાગઢ ગાંધીગ્રામ, સિધી સોસાયટીના ભીમા ડાયાભાઈ શામળા પાસેથી મંગાવ્યો હતો, અને ડ્રાઈવર મંગલમ અજયભાઈ તાવડે દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી આપવા આવ્યો હતો, જ્યારે જયદિપ હિરાભાઇ ખાંભલા પોતાની એક્ટિવા લઈને દારૂનો જથ્થો લેવા આવેલો.સ્કોર્પિયોના ડ્રાઇવર મંગલમે પણ સ્વીકાર્યું હતું કે આ દારૂ ભરેલી સ્કોર્પિયો તે જગા ડાયાભાઈ શામળા જે ગાંધીગ્રામમાં રહે છે તેના કહેવા મુજબ આપવા આવેલો. પોલીસે આ ત્રણેય આરોપીઓ યશ કટારા (ઉ.વ. 20), મંગલમ તાવડે (ઉ.વ. 25) અને જયદિપ ખાંભલા (ઉ.વ. 27) ની ધરપકડ કરી છે, જ્યારે ભીમા ડાયાભાઈ શામળા અને જગા ડાયાભાઈ શામળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.​ પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા ટીન મળી ફૂલ 696 નંગ, જેની કિંમત ₹ 5,06,640/-. આ ઉપરાંત દારૂની હેરાફેરીમા વપરાયેલી સ્કોર્પિયો ગાડી જેની કિંમત ₹ 7,00,000/- છે, નંબર વગરનું એક્ટિવા જેની કિંમત ₹ 40,000/- છે, અને 3 નંગ મોબાઇલ ફોન જેની કિંમત ₹ 30,000/- છે, મળી કુલ ₹ 12,76,640/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ એમ. પટેલ, પીએસઆઈ પી.કે. ગઢવી,એ.એસ.આઈ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ભુપતસિંહ સિસોદીયા, પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી અને જેઠાભાઈ કોડીયાતરે લાખોનો ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:38 pm

વેરાવળ ST ડેપોને બે નવી બસ મળી:ભાવનગર અને બગદાણા રૂટ પર સેવા શરૂ, મેયરે લીલીઝંડી આપી

રાજ્ય સરકારે વેરાવળ એસ.ટી. ડેપોને વધુ બે નવી બસ ફાળવી છે. આ નવી બસો વેરાવળ-ભાવનગર અને વેરાવળ-બગદાણા રૂટ પર શરૂ કરવામાં આવી છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીએ આ બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓને વધુ સારી મુસાફરી સુવિધા પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે આ બે નવી બસો ફાળવી છે. આ બસો વેરાવળ-ભાવનગર અને વેરાવળ-બગદાણા રૂટ પર દોડશે. આજે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બન્ને બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી સેવા શરૂ થવાથી વેરાવળથી ભાવનગર અને બગદાણા જતાં પ્રવાસીઓને એસ.ટી. બસની વધુ સુવિધા ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:14 pm

અવાવરુ જગ્યાએથી કતલખાનું ઝડપાયું:ડેસર ગામના તળાવ કિનારે ગાયોનું કતલખાનું ઝડપાયુ, બંધક બનાવેલ ત્રણ ગાય; બે વાછરડાને જાગૃત મુક્ત કરાવ્યા

વડોદરાના ડેસર ગામે જાગૃત નાગરિકને મળેલી માહિતી અનુસાર કેટલાક શખસો દ્વારા ગેરકાયદેસર રીતે ગાયોની કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરી રહ્યા છે ત્યારે ડેસરના બે શખસો સલમાન મંહમદ રાઉલ અને તોકીબ જાબીર શેખ દ્વારા મહિન્દ્રા પીકઅપ ગાડીમાં બે ગાયો ખીચોખીચ ભરીને જઈ રહ્યા છે. ત્યારે તેનો પીછો કરી કયાં બાંધી છે તેની તપાસ કરીને રાત્રે 7 વાગ્યાના અરસામાં ગામમાં માજી સરપંચ દલપતસિહ પરમારને જાણ કરતા તેઓએ ડેસર પોલીસને જાણ કરી હતી. અન્ય બે બંધક ગાયોને ગામ લોકોએ છોડીને બહાર લાવ્યા હતાઆ બનાવ સંદર્ભે ડેસરના દિલીપસિંહ પરમાર, જયેન્દ્રસિંહ પરમાર, દલપતસિંહ પરમાર સહિત અનેક જાગૃત નાગરિકો દ્વારા જ્યાં ગાયોને ઉતારવામાં આવી હતી, ત્યાં તપાસ કરતા ડેસરના તળાવ કિનારે આવેલા ઝાડી ઝાંખરામાં એક ગાય અને બે વાછરડા કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હતી અને અન્ય બે બંધક ગાયોને ગામ લોકોએ છોડીને બહાર લાવ્યા હતા. બે ગાયોને કસાઈઓ દ્વારા પગમાં માર મારવામાં આવ્યો હતો. જેથી, તે ભાગી ન જાય લોકોને આવતા જોઈ બે શખસો પૈકી એક નાસી છૂટ્યો હતો ત્યારે ગાયોને કતલના ઈરાદે બંધક બનાવી છે એવી વાત આસપાસમાં ફેલાઈ જતા લોકોના ટોળેટોળા જામ્યા હતા અને હિન્દુ સમાજની લાગણી દુભાવતા ભારે રોષ જોવા મળ્યો હતો. એક આરોપી આગાઉ પણ ગાયના માસ સાથે ઝડપાયો હતોડેસર પોલીસ સ્થળ પર આવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને પકડાયેલ પાંચ ગાય અને બે વાછરડા જેની કિંમત 79,000 અને પીકઅપની 1,50,000 સહિત મુદામાલ જપ્ત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને માજી સરપંચ દલપતસિંહ પ્રભાતસિંહ પરમારની ફરિયાદને આધારે ક્રૂરતાપૂર્વક કતલ કરવાના ઇરાદે ગાયો લાવી તેને રાખતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય ગુનો કરતા સલમાન મંહમદ રાઉલ અને ભાગી છૂટેલા તોકીબ જાબીર શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને વધુમાં આમાનો એક આરોપી આગાઉ પણ ગાયના માસ સાથે ઝડપાયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:09 pm

સગીરા પર દુષ્કર્મનો મામલો:વાપી કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી

વાપીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપીની રેગ્યુલર જામીન અરજી વાપીની પોક્સો એક્ટ સ્પેશિયલ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ નજીકમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરીને ગોંડલ અને ચોટીલા લઈ ગયો હતો. ત્યાં પણ તેણે લગ્નની લાલચ આપી સગીરા સાથે ફરી દુષ્કર્મ આચર્યું હતું. ડુંગરા પોલીસે યુવકને ગોંડલ નજીક એક ગામમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં આરોપીએ જેલમાંથી મુક્ત થવા માટે વાપીની પોક્સો એક્ટ સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:08 pm

સુત્રાપાડા પોલીસે વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી:તહેવારો પૂર્વે અકસ્માત અને ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા અભિયાન

સુત્રાપાડા પોલીસે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને માર્ગ અકસ્માતો અટકાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી છે. આ ડ્રાઇવ ધામલેજ-કોડીનાર રોડ પર પી.એસ.આઈ. લોહની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રીય અને ચતુષ્ચક્રીય વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું. ચેકિંગ દરમિયાન વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના જરૂરી કાગળોની ખરાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તહેવારોની સિઝન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની ડ્રાઇવ સમયાંતરે ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:07 pm

દાંતીવાડા જળાશય: રવિ 2025-26 માટે 18000 હેક્ટરમાં સિંચાઈનું આયોજન:બાગાયતદારો 30 નવેમ્બર સુધી ફોર્મ-7 દ્વારા અરજી કરી શકશે

દાંતીવાડા જળાશય યોજના હેઠળ રવિ સીઝન 2025-26 માટે 18,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને પાંચ પાણ પાણી પૂરું પાડવામાં આવશે. પાણી મેળવવા ઈચ્છુક કમાન્ડ વિસ્તારના બાગાયતદારોએ 30 નવેમ્બર, 2025 સુધીમાં નિયત નમૂના ફોર્મ-7 માં અરજી કરવાની રહેશે. આ અરજી તેમના વિસ્તારના અનુભાગ નિરીક્ષક અથવા વર્ક આસિસ્ટન્ટને રૂબરૂમાં પહોંચાડવી ફરજિયાત છે. અરજી સાથે ખેડૂતોએ તેમના ખાતાની તથા પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સીઝનની આગોતર સિંચાઈ પિયત પૂરેપૂરો ભરવાનો રહેશે. બાકી રકમ ભર્યા વિનાની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ચાલુ વર્ષ માટે પ્રતિ પાણ દીઠ ₹349.00 અને 20 ટકા લોકલ ફંડ ₹70.00, એમ મળી કુલ ₹419.00 પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે. સિંચાઈ પિયત સહકારી મંડળીઓ અને સંઘોએ પણ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી, આગોતર અને બાકી વસૂલાતની રકમ જમા કરાવવાની રહેશે. પાણી મેળવવા માટે પાણીનો પાસ મેળવવો ફરજિયાત છે; પાસ વિના પાણી આપવામાં આવશે નહીં. ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતની પોતાની રહેશે. આ માહિતી કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, ડીસા દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 7:00 pm

અમરેલીમાં યોગ કેમ્પ:'મેદસ્વિતા નિવારણ કેમ્પ'માં 100 લોકોએ યોગ અભ્યાસ કરી લાભ મેળવ્યો

અમરેલીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 30 દિવસીય 'મેદસ્વિતા નિવારણ કેમ્પ'માં યોગ સાધકોએ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ કેમ્પમાં ભાગ લેનારા શહેરીજનોએ 1.5 કિલોથી 8 કિલો સુધી વજન ઘટાડ્યું છે, જેનાથી તેમની જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પ્રતિદિન 1.30 કલાકના યોગ સેશનમાં 100 જેટલા લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો. કેમ્પના સમાપન પ્રસંગે સહભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં ભાગ લેનાર મનિષાબેને જણાવ્યું કે તેમણે 7.5 કિલો વજન ઘટાડ્યું છે, જ્યારે દીપ્તિબેને 5 કિલો વજન ઘટાડવાની સાથે પ્રાણાયામ દ્વારા પગના દુખાવામાં પણ રાહત અનુભવી છે. યોગ સાધકોએ પોતાના પ્રતિભાવો આપી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ કેમ્પમાં સૂર્ય નમસ્કાર, સૂક્ષ્મ ક્રિયા, સ્થૂળ ક્રિયા, સૂક્ષ્મ વ્યાયામ, પ્રાકૃતિક આહાર, પ્રાણાયામ અને વિવિધ આસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આયુર્વેદિક ઉકાળા સહિતની પદ્ધતિઓ દ્વારા સાધકોને શારીરિક લવચીકતા, સંતુલન અને એકંદર તંદુરસ્તી વધારવામાં મદદ મળી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર સાગરભાઈ મહેતાએ આ અંગે માહિતી આપી હતી. આ કેમ્પમાં નિકિતાબેન મહેતા, રીટાબેન કાનાબાર, શર્મિષ્ઠાબેન રાવલ અને કમલેશભાઈ રાવલે સંચાલક અને સહ-સંચાલક તરીકે સેવાઓ આપી હતી. અન્ય નિષ્ણાતો અને યોગ સાધકોએ પણ સહભાગીઓને પ્રેરણા પૂરી પાડી હતી. આ કેમ્પના પરિણામે ભાગ લેનારા શહેરીજનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમની ઊર્જામાં પણ વધારો થયો છે. કેમ્પના અંતે સૌએ રાજ્ય સરકારનો આવા પ્રેરણાદાયક કેમ્પનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:50 pm

કંપનીએ બે મહિનાનો પગાર ન ચૂકવ્યો, મહિલાની આર્થિક સ્થિતિ કથળી:181 મહિલા હેલ્પલાઈનની મદદથી રૂ. 22 હજારનો બાકી પગાર ચૂકવવામાં આવ્યો

ઉમરગામ તાલુકાની એક મહિલાને કંપની દ્વારા બે મહિનાનો બાકી પગાર ન ચૂકવાતા આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદથી આ મહિલા અને તેના પતિને કુલ ₹22,000નો બાકી પગાર ચૂકવવામાં આવ્યો હતો. મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ જે કંપનીમાં કામ કરે છે ત્યાં તેમને બે મહિનાથી પગાર મળ્યો નથી. આ કોલ મળતા જ 181 ટીમ તાત્કાલિક જણાવેલ સરનામે પહોંચી હતી. સ્થળ પર હાજર મહિલાએ જણાવ્યું કે, તેઓ મધ્યપ્રદેશના વતની છે અને કામ ધંધા માટે અહીં ભાડાના મકાનમાં બાળકો સાથે રહે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પતિ-પત્ની બંને નજીકની કંપનીમાં કામ કરતા હતા, જેથી બાળકોને સારી શાળામાં ભણાવી શકાય અને જીવન ગુજારી શકાય. તેમને અમુક એડવાન્સ કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા બે મહિનાનો પગાર બાકી હતો. પગાર ન મળવાને કારણે બાળકોની ફી અને મકાનનું ભાડું ભરી શકતા ન હતા, જેનાથી તેમની પરિસ્થિતિ અત્યંત કફોડી બની હતી. જ્યારે તેમણે આ બાબતે વાત કરી, ત્યારે કોન્ટ્રાક્ટરે અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. આથી મહિલાએ 181 ની મદદ લીધી હતી. 181ની ટીમ સ્થળ ઉપર પહોંચી પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટર હાજર મળ્યા ન હતા. ટીમે HR હેડ સાથે મુલાકાત કરી આ અંગે વાત કરી. HR હેડ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે ફોન ઉપર વાત કરવામાં આવી. બધી ચર્ચાના અંતે, મહિલા અને તેના પતિનો નીકળતો કુલ ₹22,000નો પગાર ચૂકવવામાં આવ્યો. આથી મહિલાએ રાહત અનુભવી અને 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:38 pm

બધે એક જ ચર્ચા રાદડિયાનું પત્તું કેમ કપાયું?:ખાસ ગણાતા વેકરિયાને મંત્રીપદ મળી ગયું ને પોતે જ રહી ગયા, પાટીલનો એ સંકેત કામ કરી ગયો?

ગત 4 ઓક્ટોબરના રોજ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે કમલમમાં પદભાર સંભાળ્યો. આ સમયે પ્રદેશ પ્રમુખ પદેથી વિદાયમાન થઈ રહેલા સી.આર. પાટીલે કેટલાક સંકેતો આપ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સહકારિતા ચૂંટણી લડતા કેટલાક નેતાઓને મેન્ડેટ પ્રથા ન ગમી તો પછી આપણે ધારાસભ્યોમાં પણ મેન્ડેટ ન આપવા જોઇએ. મારા કેટલાક નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન કે ફાયદો થયો હશે. મારો ઇરાદો કોઈને નુકસાન કરવાનો નહોતો, કોઈને નુકસાન થયું હશે તો પાર્ટીના હિત માટે થયું હશે.કોઈને નુકસાન થયું હોય તો હું માફી માંગુ છું. પાટીલના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી કે, તેમણે રાદડિયાને ટોણો માર્યો છે. ઘણી લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે ભુપેન્દ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. પરંતુ તેમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે જેમના નામ મંત્રી પદ માટે નિશ્ચિત ગણાતા હતા તેવા ધારાસભ્યોને મંત્રી બનાવ્યા નથી. જેમાં જયેશ રાદડિયાને મંત્રી પદ કેમ ન મળ્યું એ છે. આ પણ વાંચો: મંત્રી મંડળમાંથી આઉટ મંત્રીઓ પહેલી હરોળમાં ‘રાહ’ જોઈ બેઠા:10 મંત્રીને કેમ પડતા મૂક્યા અને 6 રિપીટને કયું ફેક્ટર કામ કરી ગયું? રાદડિયાનું પત્તું કપાયું પણ તેમના ખાસ વેકરિયાને મંત્રીપદ મળ્યુંતો બીજી તરફ પાયલ ગોટી લેટરકાંડ અને એક કથિત ઓડિયો ક્લિપને લઈ વિવાદોમાં ઘેરાયેલા કૌશિક વેકરિયાને મંત્રી પદ મળ્યું છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, કૌશિક વેકરિયા પાછા જયેશ રાદડિયાની એકદમ નિકટ છે. પાયલ ગોટી લેટરકાંડ સમયે પણ રાદડિયાએ મૌન સેવ્યું હતું. પાટીદાર સમાજમાં આંતરિક લડાઈઓમાં જયેશ રાદડિયા સામે પણ કેટલાક વિરોધીઓ ઉભા થયા હતા. જેની સામે જયેશ રાદડિયાએ સુરતમાં બાયો ચડાવી અને જાહેર મંચ ઉપરથી નામ લીધા વિના સમાજમાં કેટલાક લોકો વિશે કહ્યું હતું. આમ રાદડિયાનું પત્તુ કપાયું પણ તેમના નજીકના વેકરિયાને મંત્રી પદ મળ્યું એ અંગે રાજકીય પંડિતો અનેક અટકળો લગાવી રહ્યા છે. આ પણ વાંચો: જાણો નવા મંત્રી મંડળની પળેપળની અપડેટ્સ, ઝોનથી લઈ જ્ઞાતિ સુધી કોને મળ્યું મંત્રી પદ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઇફ્કોના ડિરેક્ટર બન્યા2024ની લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા એપ્રિલ-મેમાં ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. આ સમયે મેન્ડેટ પ્રથા પ્રમાણે ભાજપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અમદાવાદના બિપિન ગોતાને ચૂંટણી લડાવી હતી, પરંતુ ચૂંટણી જીતવાનો જાદુઈ આંક ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયા પાસે હતો. રાદડિયાએ મેન્ડેટની વિરુદ્ધ જઈને ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. એટલું જ નહીં, ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને વિજેતા પણ બન્યા. ગુજરાત ભાજપનું મોવડીમંડળ આ નિર્ણયથી સમસમી ગયું હતું. જયેશ રાદડિયા દ્વારા પક્ષથી ઉપરવટ જઈને લડવામાં આવેલી આ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચ ન આવે એ માટે પણ વિશેષ તકેદારી લેવાઈ હતી. નિયમ મુજબ તો આ ચૂંટણી કોઈ પક્ષના નામ કે સિમ્બોલ સાથે લડાતી નથી, જેથી મેન્ડેન્ટના અનાદરનો છેદ ઊડી ગયો હતો. આ પણ વાંચો: રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરનાં અને પૈસાદાર મંત્રી:12 ધારાસભ્યોને પ્રથમ ટર્મમાં જ લોટરી લાગી, નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર 5 વર્ષ ઘટી ક્યાંય કોઈને કોઈ નડતું નથી: રાદડિયામંત્રી મંડળ વિસ્તરણ સમયે જયેશ રાદડિયાએ મીડિયો સાથેની વાતચાતીમાં જણાવ્યું કે, મેં નાની ઉંમરથી પાર્ટી માટે કામ કર્યું છે. જે પણ સમીકરણો જ્ઞાતિને લઈ સૌરાષ્ટ્રને લઈ ગોઠવાયા છે તે બરોબર છે. દરેક જ્ઞાતિને બરોબરનું પ્રાધાન્ય મળ્યું છે. નરેશ પટેલ તેઓને નડી ગયા તે સવાલ પર જણાવ્યું કે, ક્યાંય કોઈને કોઈ નડતું નથી. પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓને સમયે-સમયે પક્ષમાં સ્થાન મળતું જ હોય છે. આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શપથ લેનારા તમામ મંત્રીઓનું એનાલિસિસ સંગઠનમાં મોટું સ્થાન આપીને સાચવી લેવાની ચર્ચારાજ્યના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા જીતુ વાઘાણીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં ફરી સ્થાન મળ્યું છે. જો કે જીતુ વાઘાણીની સાથે જ સરકારમાં રહી ચૂકેલા સૌરાષ્ટ્રના યુવા કદાવર નેતા જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ચૂક્યું છે. જયેશ રાદડિયાને હવે સરકાર નહીં પરંતુ સંગઠનમાં મોટું સ્થાન આપવામાં આવનાર હોવાના પગલે મંત્રી પદ આપવામાં આવ્યું નથી. ગુજરાત ભાજપમાં સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વ તરીકે જયેશ રાદડિયાને પ્રમોટ કરવામાં આવશે. આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છનું કદ વધ્યું, હવે 5ને બદલે 9 MLAને મંત્રીપદ સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી મળી શકેભાજપના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ જાણીતું નામ એવા જયેશ રાદડિયાને નવી જવાબદારી તરીકે ભાજપમાં સંગઠનના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. ગુજરાત ભાજપમાં નવા સંગઠનની નિમણૂક થવાની છે. જેમાં પ્રદેશ મહામંત્રી તરીકે સૌરાષ્ટ્ર ઝોનમાંથી તેમને મૂકવામાં આવી શકે છે. ભાજપ હવે ગુજરાતમાં યુવા પેઢીને આગળ કરી રહી છે ત્યારે સરકારમાં પણ યુવા મંત્રીઓને મૂકવામાં આવ્યા છે અને સંગઠનમાં પણ યુવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. સરકારમાં પાટીદાર તરીકે સૌરાષ્ટ્રમાંથી બે મંત્રી જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાને સ્થાન મળ્યું છે. પ્રભાવશાળી શંકર ચૌધરી અને રાદડિયા સ્વતંત્ર નિર્ણય લેવા માટે જાણીતા છતાં રહી ગયારાજકીય તજજ્ઞો આ સંદર્ભમાં એવું માને છે કે રાદડિયા અને શંકર ચૌધરી ખૂબ જ મજબૂત અને એગ્રેસીવ છે. પોતાના સમાજ ઉપર તેઓ સારી પકડ ધરાવે છે આ બંને નેતાઓને સરકારમાં કામ કરવાનો અનુભવ પણ છે. વહીવટી તંત્રની નાડ પારખવામાં પણ પાવરધા છે. જો તેમને મંત્રી બનાવવામાં આવે તો ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારી કામગીરીમાં તેમનાથી ઘણા જુનિયર ગણાય. આ બંને નેતાઓ પોતાનું ધાર્યું કરવા માટે ટેવાયેલા છે. તેઓ એક તબક્કે સ્વતંત્ર નિર્ણય લેતા અચકાય એવા નથી. આ પણ વાંચો: કોઇની ઓડિયો ક્લીપ લીક થઇ તો કોઇનો સાંસદ સાથે જાહેરમાં ઝઘડો, ગુજરાતના નવા મંત્રીઓના જાણ્યા-અજાણ્યા રસપ્રદ કિસ્સા અલ્પેશ ઠાકોર અને હાર્દિકને શું નડ્યું?જ્યારે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની વાત જુદી છે આ બંને ધારાસભ્યો આંદોલનમાંથી પેદા થયેલા છે. એટલું જ નહીં આંદોલન બાદ બંને નેતાઓ કોંગ્રેસમાં ગયા હતા. જ્યાં તેમની સામે કેસ પણ થયેલા છે બંને નેતાઓએ ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ સામે બેફામ નિવેદનો કરેલા છે. બંને સામે તેમના સમાજમાંથી પણ આક્રોશ છે. જો તેઓને મંત્રી બનાવવામાં આવે તો ઠાકોર સમાજ અને પાટીદાર સમાજમાં ભાજપ સામે પણ રોષ ભભૂકી ઊઠે તેવી ભીતિ હતી આ કારણે જ બંનેને મંત્રી પદ અપાયું નથી. સ્વર્ગસ્થ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈના પુત્ર, હવે વારસો આગળ ધપાવે છેજયેશ રાદડિયાનો જન્મ 8 ડિસેમ્બર 1981ના રોજ રોજકાટ જિલ્લાના જામકંડોરણા ગામે થયો હતો. તેમના પિતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા(પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ) અને માતા ચેતનાબેન રાદડિયા છે. જયેશ રાદડિયાએ BE સિવિલ એન્જિનિયરનો અભ્યાસ એમએસ યુનિવર્સિટી, વડોદરામાં કર્યો છે અને તેમના અભ્યાસકાળ દરમિયાન તેઓ જીએસ હતા. તેમના પત્નીનું નામ મિત્તલબેન છે અને સંતાનમાં એક પુત્ર માહિક અને પુત્રી ક્રિષ્ના છે. તેઓ કુલ ચાર ભાઈઓ છે જે પૈકી બે ભાઈના અવસાન થઇ ચુક્યા છે. 2013માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાકોંગ્રેસમાંથી 2 વખત ચૂંટણી લડ્યા અને જીત્યા બાદ જયેશ રાદડિયા અને તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ વર્ષ 2013માં કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો હતો અને બન્ને પિતા પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હાલ તેઓ જેતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે આ ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપ.બેન્કના ચેરમેન પણ છે અને ઇફ્કોના ડિરેક્ટર પણ છે. સામાજિક લેવલે પણ તેઓ લગભગ અલગ અલગ 9 જેટલી સંસ્થામાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે. જયેશ રાદડિયા જેતપુર જામકંડોરણા બેઠકના ધારાસભ્ય છે. અગાઉ વિજયભાઈ રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી હતા આ પછી ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેમને પડતા મુકવામાં આવ્યા હતા. આજે પણ તેમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:30 pm

ચાંદખેડામાં 45 મિનિટમાં BRTS સ્ટેન્ડમાંથી 40 હજારના સામાનની ચોરી:સિક્યુરિટી ગાર્ડ બહાર જતા જ તસ્કરોએ હાથ સાફ કર્યો, પોલીસથી બચવા માટે CCTV પણ તોડી નાખ્યા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા BRTS સ્ટેન્ડમાં તસ્કરો કોમ્પ્યુટર સહિત 40 હજારના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા છે. BRTS સ્ટેન્ડમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ થોડા સમય માટે બહાર ગયા હતા. આ 45 મિનિટના સમયમાં તસ્કરો BRTS સ્ટેન્ડમાં ઘૂસી જાય છે અને હાથ સાફ કરી ફરાર થઈ જાય છે તેમજ પોલીસથી બચવા માટે તસ્કરોએ BRTS સ્ટેન્ડમાં લગાવેલા CCTV કેમેરા પણ તોડી નાખે છે. જેને લઈને અરુણ નામના સિક્યુરિટી ગાર્ડે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને તોડફોડની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તૂટેલા CCTV કેમેરાના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. રાત્રે 12.30 વાગ્યા આસપાસ અચાનક તબિયત બગડી ગઈ હતીઅરૂણની નોકરી ચાંદખેડા વિશ્વકર્મા એન્જીનીયરીંગ કોલેજ પાસે આવેલા BRTS બસ સ્ડેન્ડ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે હતી. અરૂણની ડ્યુટીનો સમય રાતે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીનો હતી. જેથી અરૂણ બે દિવસ પહેલા પોતાના નોકરી પર નિયત કરેલા સમય પર આવી ગયો હતો પરંતુ, તેની તબિયત રાત્રે 12.30 વાગ્યા આસપાસ અચાનક બગડી ગઈ હતી. અચાનક તબિયત બગડી જતા કુદરતી પ્રક્રિયા માટે ગયો હતો. BRTS સ્ટેન્ડના કેબિનના દરવાજાને બહારથી બંધ કરીને ગયો હતો. અંદાજે 45 મિનિટ બાદ અરુણ કુદરતી પ્રક્રિયા પૂરી કરી પરત આવ્યો ત્યારે BRTS સ્ટેન્ડનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વિખરાયેલો જોવા મળ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પોલીસને ફોન કરીને જાણ કરીBRTS સ્ટેન્ડમાં જઈને જોતા કોમ્પ્યુટર અને પોઝ મશીનની ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ અરૂણે તેના સુપરવાઈઝર અલ્પેશ ઠાકોરને જાણ કરી દીધી હતી. સુપરવાઈઝર પણ તાત્કાલિક BRTS સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ પણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ અરૂણે પોલીસને ફોન કરીને જાણ કરતા ચાંદખેડા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. CCTVના આધારે તપાસ શરૂ કરી પોલીસે તપાસ કરતા માત્ર 45 મિનિટમાં ગઠિયાઓ BRTS સ્ટેન્ડમાં ઘૂસ્યા અને કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. BRTS સ્ટેન્ડમાં ચોરી કરતા પહેલા CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. જેથી, પોલીસ પકડી ના શકે. પોલીસના જણાવ્યા અનુસાર કોઈ જાણભેદુએ ચોરી કરી હોવાની શક્યતા છે. જોકે, હવે પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ કરી તૂટેલા CCTV અને આસપાસના અન્ય CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:24 pm

હિંમતનગર પાલિકાની સામાન્ય સભા 30 ઓક્ટોબરે યોજાશે:એજન્ડાના 12 કામો પર સત્તાધારી અને વિપક્ષ ચર્ચા કરશે

દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ, લાભ પાંચમ પછી અને સરદાર જયંતિ પૂર્વે, 30 ઓક્ટોબરે હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા ટાઉનહોલમાં યોજાશે. આ સભામાં એજન્ડામાં દર્શાવેલ 12 કામો અંગે સત્તાધારી અને વિપક્ષની હાજરીમાં ચર્ચા કરવામાં આવશે, જેના પર સત્તાધારી પક્ષ અંતિમ નિર્ણય લેશે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સામાન્ય સભામાં ગત મીટિંગનું પ્રોસિડિંગ, કાર્યનોંધ અને વિવિધ કમિટીઓની કાર્યનોંધને વંચાણે લેવામાં આવશે. ત્યારબાદ બગીચા હેડવર્કસની ઓવરહેડ ટાંકીના મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન મેઈનને જોઈન્ટ આપવા માટે આવેલા લેબર ટેન્ડરના ભાવો મંજૂર રાખવા અંગે ચર્ચા કરાશે. માલ-સામાનના ભાવો અંગે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે. વધુમાં, મહેતાપુરાના ખાડા વિસ્તારના સંપ તેમજ કલેક્ટિંગ ચેમ્બરમાં જોઈન્ટ આપવા માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડર બાદ એજન્સીના ભાવો મંજૂર રાખી કામગીરી કરાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. ન્યાય મંદિર પાસે આવેલા ઓવરબ્રિજની પેરાફીટ ઉપર પાઈપલાઈન નાંખવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી લીધા બાદ સર્વે કરાવી ખર્ચનો એસ્ટીમેટ નક્કી કરી ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવા અંગે પણ ચર્ચા થશે. સરકારની અમૃત-2 યોજના હેઠળ મહાવીરનગરથી મહેતાપુર વચ્ચે પાણીની પાઈપલાઈન નાંખવા માટે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે.આરોગ્ય વિભાગના જેસીબી, બ્રેકર, હિટાચી, કટર અને ટ્રેક્ટર ટ્રોલી ભાડે મેળવવા માટે આવેલા ભાવોને મંજૂર કરાયા હોવાથી, ટેન્ડરની શરત અનુસાર તેની મુદત એક વર્ષ વધારી આપવા અંગે નિર્ણય લેવાશે. સ્મશાન નિભાવ ગ્રાન્ટ અન્વયે ઝાડના થડિયા પાડવાની તથા વર્કસ કોન્ટ્રાક્ટના ધોરણે દવાઓ સપ્લાય કરવા માટે ઈ-ટેન્ડરિંગ પ્રોસેસના અંતે આવેલા ભાવો અંગે પણ ચર્ચા કરાશે.વિપક્ષના નેતા દ્વારા ગત 9 ઓક્ટોબરના પત્રથી મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 51/3 મુજબ રજૂ કરાયેલી પ્રશ્નાવલી સામાન્ય સભામાં રજૂ કરાયા બાદ તેના પર ચર્ચાને અંતે નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:20 pm

'તું આહીર છે, હું ક્યારેય સ્વીકારીશ નહીં ':ડિવોર્સ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી:લગ્ન બાદ 10 મહિના સુધી પતિ અને સાસુનો શારીરિક-માનસિક ત્રાસ,પરિણીતાએ પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઘરેલુ હિંસા ના કિસ્સાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે, ત્યારે પ્રેમ લગ્ન કરનાર એક પરિણીતાને તેના પતિ અને સાસુ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આપી હોવાનો ચોંકાવનારો કિસ્સો જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. 40 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ વ્રજેશભાઈ ભીખુભાઈ પાનસુરીયા અને સાસુ ચંપાબેન ભીખુભાઈ પાનસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.​​ ઓફિસમાંથી શરૂ થયેલો સંબંધ ત્રાસ વધતા પોલીસ સ્ટેશને પહોંચ્યો​ ફરિયાદી મહિલાના પ્રથમ લગ્ન તૂટી ગયા બાદ તેઓ વ્રજેશભાઈની ઓફિસમાં કામ કરતા હતા,જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. વ્રજેશભાઈએ વિશ્વાસ અપાવ્યો કે તે ફરિયાદી મહિલા અને તેમના બંને બાળકોને સારી રીતે રાખશે. આ વિશ્વાસના આધારે તેમણે તા. 14/02/2023 ના રોજ બરોડાના શિવ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. વ્રજેશભાઈ માટે આ ત્રીજા લગ્ન હતા.લગ્નના લગભગ 10 દિવસ બાદ, જ્યારે પરણિત મહિલા પતિ વ્રજેશ સાથે તેમના સાસુ ચંપાબેન પાસે જૂનાગઢ આવ્યા અને લગ્નની વાત કરી, ત્યારે મુશ્કેલીઓ શરૂ થઈ. સાસુનો જાતિવાદી વિરોધ અને પુત્રવધુને માનસિક ત્રાસ​ ફરિયાદ મુજબ સાસુ ચંપાબેન લગ્નની વાત સાંભળીને એકદમ ઉશ્કેરાઈ ગયા અને પુત્રવધુને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તું આહીર જ્ઞાતિની છો, હું તને ક્યારેય નહીં સ્વીકારું. તું આ ઘરમાંથી જતી રહે. આટલું કહીને તેમણે મારકૂટ પણ કરી. આ ઘટના બાદ ફરિયાદી મહિલા અને તેમના પતિ આશરે દસેક મહિના સુધી બરોડા રહેવા ચાલ્યા ગયા હતા.​ બરોડાથી પરત આવીને પરણિત મહિલા જૂનાગઢમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા, પરંતુ પતિ વ્રજેશભાઈની દારૂ પીવાની ટેવ અને સાસુની ચડામણીને કારણે તેમનો ત્રાસ યથાવત રહ્યો.પતિ વ્રજેશભાઈ પટેલ હોવાથી અને મહિલા આહીર જ્ઞાતિના હોવાથી સાસુને આ સંબંધ મંજૂર નહોતો. સાસુની ચડામણીથી પતિ નિયમિતપણે શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા.પતિ વ્રજેશભાઈએ પત્નીના તમામ સોનાના દાગીના લઈ લીધા હતા અને વધુ દાગીનાની માંગણી કરીને ઢોર માર મારતા હતા. આ ઉપરાંત બેંકના તમામ ડોક્યુમેન્ટ્સ પણ લઈ લીધા હતા.મહિલા સગા-વહાલા કે કુટુંબમાં પત્ની તરીકે સ્વીકારવાની વાત કરતા, પતિએ મેણાં-ટોણાં માર્યા હતા અને કહેતા હતા કે મારા મમ્મી તને સ્વીકારવાની ના પાડે છે અને હું તને તારા છોકરાઓને રાખવા નવરો નથી.મહિલાના બીજા લગ્ન હોવાથી અને બાળકો નાના હોવાથી, તેઓ મુંગે મોઢે આ દુઃખ-ત્રાસ સહન કરતા રહ્યા અને ઘરમેળે સમાધાન કરવાનો પ્રયાસ કરતા હતા.​ જાનથી મારી નાખવાની ધમકી અને ડિવોર્સની માંગણી​ તા. 30/01/2025 ના રોજ જ્યારે મહિલા ભાડાના મકાનમાં હાજર હતા, ત્યારે બપોરે અરસામાં તેમના પતિ વ્રજેશભાઈ અને સાસુ ચંપાબેન ત્યાં આવ્યા. તેમણે ગાળો આપવાનું શરૂ કર્યું.​સાસુ ચંપાબેન તેની પુત્રવધુને કહેવા લાગેલ કે તું મારા દીકરાને છૂટાછેડા આપી દે,નહીંતર તને અને તારા બંને બાળકોને અમો પતાવી દઈશું.પતિ વ્રજેશભાઈએ પણ તેની પત્નીના વાળ પકડી તેમનું માથું દીવાલમાં ભટકાવ્યું હતું.​ બંને મા-દીકરાની ધમકીથી ડરીને અને સતત ચાલુ રહેલા શારીરિક-માનસિક ત્રાસના કારણે મહિલાએ આખરે હિંમત કરીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહિલા પોલીસે પતિ વ્રજેશભાઈ ભીખુભાઈ પાનસુરીયા અને સાસુ ચંપાબેન ભીખુભાઈ પાનસુરીયા વિરુદ્ધ BNS કલમ 85 પત્નીના દાગીના અને ડોક્યુમેન્ટ લઈ લેવા,115(2) જાનથી મારી નાખવાની ધમકી), 352મારામારી, 351(3) સાસુની ચડામણીથી ત્રાસ અને 54 ગુનામાં મદદગારી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:04 pm

નવા મંત્રીમંડળને લઈને AAPના પ્રદેશ પ્રમુખનો કટાક્ષ:ઈસુદાન ગઢવીએ કહ્યું- 'લોકો સમજી ગયા છે કે સમસ્યા ચહેરાઓમાં નથી, ચહેરા બદલવાથી કોઈ ફેર નહીં પડે હવે સરકાર બદલવી પડશે'

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. જેને લઈને હવે આમ આદમી પાર્ટીએ નવા મંત્રીમંડળ પર અને ભાજપ પર કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીએ બોટાદ અને વિસાવદરમાં જે રીતે જનતાનો વિશ્વાસ જીત્યો તેનાથી સમગ્ર ભાજપ બૌખલાઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ગઈ વખતની જેમ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પણ બદલી દેવામાં આવશે તેવો દાવો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યો છે. સરકાર બદલવાનો નિર્ણય જનતાએ કરી લીધો છે: ઈસુદાન ગઢવીઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાકથી દિવસની ખેડૂતો કહી રહ્યા હતા કે સરકાર ફેલ ગઈ છે. મહિલાઓ કહી રહી હતી કે સુરક્ષા વ્યવસ્થા નથી એટલે સરકાર ફેલ ગઈ છે. સરકારી કર્મચારી અને યુવાનો પણ કહી રહ્યા હતા કે, સરકાર ફેલ ગઈ છે. જે પ્રકારે બોટાદ અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જનતાઓનો વિશ્વાસ જીત્યો તેનાથી ભાજપ સરકાર બૌખલાઈ ગઈ હતી. એક ઘરમાં યોગ્ય સાંભળનાર ના હોય ને તો પરિવારનું બજેટ ખોરવાઈ જાય છે અને ઘર બર્બાદ થઈ જાય છે. જ્યારે પણ ઈચ્છા થાય તો કહી દે કે આ લોકો ફેલ છે સારું કામ કરતા નથી અને બદલી દેવામાં આવે છે. 2027 પહેલા મુખ્યમંત્રી પણ બદલી દેશો તમે તો. જનતાએ નક્કી કરી લીધું છે કે સમસ્યા ચહેરાઓમાં નથી, ચહેરા તો એ જ છે ચહેરા બદલવાથી કોઈ ફેર નહીં પડે, હવે સરકાર બદલવાનો નિર્ણય જનતાએ કરી લીધો છે. 'ચહેરા બદલવાથી ભાજપની નિયતમાં કોઈ બદલાવ આવશે નહીં'વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પોતાના મળતિયાઓને સેટ કરવા માટે આખું ગુજરાત બર્બાદ થઈ ગયું છે. ખેડૂતો પરેશાન છે, ખેડૂતોને લૂંટવામાં આવે છે. બળાત્કાર થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બ્રિજ તૂટી રહ્યા છે, બેરોજગાર યુવાનોને નોકરી મળી રહી નથી. આમ આદમી પાર્ટીએ જે રીતે સક્રિયતા બતાવી છે, ગામોમાં 1400 જેટલી સભાઓ કરી છે. કિસાન આંદોલન ઉભુ થયું તો કિસાન નેતાને બરબરતા પૂર્વક પરેશાન કરવામાં આવે છે. જેના કારણે મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવી રહ્યો છે. જનતા સમજી ગઈ છે કે ચહેરા બદલવાથી ભાજપની નિયતમાં કોઈ બદલાવ આવશે નહીં. ભાજપના મંત્રીઓ ફેલ થઈ ગયા છે એટલા માટે ચહેરા બદલવામાં આવે છે. જે પણ નવા મંત્રી આવશે તે પણ ફેલ જ જશે. 2027 આવા દો હવે નાગરિકો સરકાર બદલવાના મૂડમાં આવી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 6:04 pm

દિવાળીના દિવસોમાં વરસાદ પડશે:CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ તૈયાર, અમદાવાદ એરપોર્ટની મુસાફરોને વહેલા પહોંચવા અપીલ, ભીડભંજન માર્કેટમાં આગ લાગતા 14 દુકાનો ખાક

CM ભૂપેન્દ્ર પટેલનું નવું 25 મંત્રીઓનું મંત્રીમંડળ બન્યું ગુજરાતના નવા મંત્રીમંડળની રચના બાદ આજે મહાત્મા મંદિરમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો. CM ભૂપેન્દ્ર પટેલનું નવું 25 મંત્રીઓનું મંત્રીમંડળ બન્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને DyCM બનાવાયા નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને ડેપ્યુટી CM બનાવાયા છે. સુરતમાં હર્ષ સઘંવીના કાર્યાલય બહાર ઢોલ-તાશાના તાલે સમર્થકો ઝૂમી ઊઠ્યા હતા. કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી જિતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી, ત્રણેય મહિલામંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મંત્રીમંડળના વિસ્તરણ અને શપથગ્રહણ સમારોહ બાદ સાંજે 5 વાગ્યે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી. જેમાં તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાઈ. એરપોર્ટ પર મુસાફરોને વહેલા પહોંચવા અપીલ દિવાળી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) દ્વારા મુસાફરોને એક અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું છે કે, દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. તેથી, અમદાવાદ એરપોર્ટ તમામ મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ તેમની મુસાફરીના આયોજનમાં પૂરતો સમય ફાળવે અને ફ્લાઇટના નક્કી કરેલા સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનમાં આગ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આજે (17 ઓક્ટોબર) વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતાં 14 જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી. જાણ કરવામાં આવતાં 8 ફાયરની ગાડીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે. મોટા ભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજવસ્તુઓની હતી, જેથી દિવાળીના સમયે આગ લાગતાં વેપારીઓને મોટું નુકસાન ગયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 2 લક્ઝરી સામસામી અથડાતાં 2 મહિલાનાં મોત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકુથંભલા ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મોડીરાત્રે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં ગમગીની છવાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં બે મહિલા મુસાફરનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે 13 મુસાફરને ઇજાઓ પહોંચી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'VIPની દારૂ મહેફિલ' પહેલાં રેડ, પોલીસ સાથે મારામારી સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસેના કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડીરાતે 'VIPની દારૂ મહેફિલ' શરૂ થાય તે પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતા માહોલ ગરમાયો હતો. પોલીસે રેડ કરી એક કારની તપાસ કરતા અંદરથી બિયર ભરેલું બોક્સ મળી આવ્યું હતું. આ સમયે કેટલાક લોકો સ્થળેથી ભાગી રહ્યાં હતાં, આ સમયે PSIએ દોડીને એક કારને રોકતાં અંદરથી યુવકે આવીને વીડિયો બંધ કરવાનું કહી PSI સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે કારમાં સવાર યુવકના પિતા અને બે મહિલાએ આવીને પોલીસ અને યુવકને છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબલનો વીડિયો પાણ સામે આવ્યો છે. યુવકના પિતાએ તો પોતાની લાગવગ લગાવી PSIને ફોન પર વાત કરવાનું કહી 'બચ્ચા હૈ સર..' કહીને યુવકને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'તું મારી સામે કેમ જુએ છે?'કહેતા ખૂની હુમલો સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે 'તું મારી સામે કેમ જુએ છે?' જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સુરત મ્યુ. કોર્પોરેશન આવાસમાં રહેતા એક યુવક અને તેના મિત્ર પર 4 જેટલા નામજોગ અને અન્ય અજાણ્યા શખસોના ટોળાએ ઢીક્કામુક્કીનો ઢોરમાર મારી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હુમલાખોરોએ ભોગ બનનાર યુવકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભેસ્તાન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દિવાળીના દિવસોમાં વરસાદ પડશે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે 17મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસના જણાવ્યા અનુસાર, આજે (17 ઓક્ટોબર) રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જોકે અમદાવાદમાં આજે વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:58 pm

વેશપલ્ટો કરી LCBએ ભોપાલથી 4 આરોપીને દબોચ્યા:ડિજિટલ એરેસ્ટ કેસના ગુનેગારને પકડવા પોલીસકર્મીઓ રિક્ષાચાલક બન્યાં; મોબાઈલ, ATM, પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ LCB એ ડિજિટલ એરેસ્ટ નામે સાયબર ફ્રોડ આચરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનાર ચાર આરોપીઓને મધ્યપ્રદેશના ભોપાલ અને વિધીશા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં વેરાવળની એક પરણીતાએ રૂપિયા 1.15 લાખ ગુમાવ્યા બાદ બ્લેકમેઈલિંગથી કંટાળી આત્મહત્યા કરી હતી. પોલીસે આરોપીઓને વેરાવળ લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના 30 ઓગસ્ટ, 2025ના રોજ વેરાવળમાં બની હતી. પૂજાબેન ચોલેરા નામના પરણીતાને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખાવી પાર્સલ કેસ માં પરિવાર ફસાઈ જશે તેવી ધમકી આપી હતી. આરોપીએ પૂજાબેનને ડિજિટલ એરેસ્ટ ના નામે ખોટી કાર્યવાહી બતાવી QR કોડ મારફતે રૂપિયા 1,15,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ પણ આરોપીઓ દ્વારા વધુ પૈસાની માંગણી અને સતત બ્લેકમેઈલિંગથી ત્રસ્ત થઈને પૂજાબેને 30 ઓગસ્ટે પોતાના ઘરે સેલ્ફોસ ટીકડા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 108, 351(2) તથા ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટના બાદ વેરાવળ સીટી પોલીસે અગાઉ બે આરોપીઓને પકડ્યા હતા. ત્યારબાદ કેસની વધુ તપાસ ગીર સોમનાથ LCB ને સોંપવામાં આવી હતી. LCB ના પો.ઇન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, બેંક અને વોલેટ નોડલ ઓફિસરો પાસેથી માહિતી મેળવી આરોપીઓની હિલચાલ ટ્રેસ કરી હતી. આ માહિતીના આધારે LCB ની ખાસ ટીમે મધ્યપ્રદેશના ભોપાલ અને વિધીશા જિલ્લામાં વેશપલટો કરીને રેકી કરી હતી. ટીમે દાતર ઉર્ફે મોનુ છઠ્ઠલાલ રજક (ઉ.વ. 27), હર્ષ ઉર્ફે હરસુ પર્વતસિંહ લોધી (ઉ.વ. 26), આકાશ આનંદ હલકઇ બંસલ (ઉ.વ. 25) અને જાગેશ્વર સુંદરલાલ લોધી (ઉ.વ. 26) નામના ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 11 મોબાઈલ ફોન (કિંમત રૂ. 65,500), જુદી જુદી બેંકના 25 ATM કાર્ડ, અલગ અલગ મોબાઈલ કંપનીના 9 સિમકાર્ડ અને અલગ અલગ બેંકની 12 પાસબુક જપ્ત કરી છે. LCB પી.આઈ. પટેલે આરોપીઓની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ આરોપીઓ અલગ અલગ વોટ્સએપ નંબરથી કોલ કરીને પોતાને ઇન્કમટેક્સ અથવા પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે. તેઓ પાર્સલ અથવા કાયદેસર કાર્યવાહીનું ખોટું બહાનું આપી લોકોમાં ભય પેદા કરી તેમને ડિજિટલ એરેસ્ટ ની ધમકી આપે છે. ત્યારબાદ QR કોડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચરે છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:51 pm

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ:યુવા મોરચાની બાઈક રેલીથી શરૂઆત, 5 હજારથી વધુ કાર્યકર્તાઓ હાજર

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહમાં અમદાવાદમાં ભગવા રંગનો જોશ જોવા મળ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંજે 6 વાગ્યે આ સમારોહ યોજાયો, જેમાં શહેરભરમાંથી અંદાજે 5,000 કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા. આ કાર્યક્રમ પાર્ટીની એકતા અને નવા નેતૃત્વને આવકારવાના ઉત્સાહનું પ્રતીક બન્યો, જેમાં યુવા મોરચાની બાઈક રેલીએ વિશેષ રંગ ઉમેર્યો. કાર્યકર્તાઓ માથા પર કેસરી સાફા બાંધીને વલ્લભ સદન ખાતે પહોંચી ગયા સમારોહની શરૂઆત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે યુવા મોરચાની બાઈક રેલીમાં જોડાઈને થઈ. ત્યાંથી તેઓ સીધા ઇવેન્ટ સેન્ટર કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. યુવા મોરચાના કાર્યકર્તાઓ માથા પર કેસરી સાફા બાંધીને વલ્લભ સદન ખાતે પહોંચી ગયા હતા, જેઓએ રેલીમાં ભાગ લઈને પાર્ટીના નવા પ્રમુખને અભિનંદન આપ્યા. આ રેલીએ અમદાવાદના રસ્તાઓને ભગવા રંગથી રંગીન બનાવ્યા અને કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાવ્યો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:47 pm

ગોધરામાં દિવાળી પર્વ નિમિત્તે કન્યા પૂજનનું આયોજન:શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન અને લાયન્સ ક્લબ દ્વારા શ્રમજીવી કન્યાઓનું સન્માન

ગોધરાના બામરોલી રોડ પર આવેલી હોટલ બેઠક ખાતે દિવાળી પર્વ નિમિત્તે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન અને લાયન્સ ક્લબ ગોધરા દ્વારા શ્રમજીવી પરિવારની કન્યાઓ માટે યોજાયો હતો. શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા અને યુ.એસ.એ.ના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ પૂજન થયું હતું. શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા, ગોધરાના પ્રમુખ પ્રદીપ સોનીએ સદભાવના મિશન ક્લાસની કન્યાઓનું સ્વાગત કર્યું હતું. લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ કેતકી સોનીએ કન્યાઓને તિલક કરી ફુલહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ તેમને શુદ્ધ સાત્વિક ભોજન, સ્વીટ અને ફરસાણ જમાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કન્યાઓને રોકડ રકમ અને ગિફ્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કન્યા પૂજનને ભક્તિ અને સેવાને પ્રોત્સાહન આપતી એક શુભ વિધિ માનવામાં આવે છે, જે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. આ આયોજન દ્વારા શ્રમજીવી પરિવારની દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:42 pm

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અનેક દરખાસ્તો મંજૂર:નવી ટી.પી. સ્કીમ, સેટઅપ સુધારા સહિતના નિર્ણયો લેવાયા

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં નવી ટી.પી. સ્કીમ, કર્મચારી સેટઅપ સુધારા અને ફૂડ સેફ્ટી ઓફિસરની નવી પોસ્ટ સહિતની દરખાસ્તો મુખ્ય એજન્ડામાં સમાવિષ્ટ હતી. બેઠકમાં ટી.પી. સ્કીમ નંબર 35, 36 અને 38નો મુસદ્દો જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્તો પણ ચર્ચા માટે હતી. વિપક્ષી પૂર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફીએ ટી.પી. સ્કીમ નંબર 35, 36 અને 38 અંગે ધારદાર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે 25 વર્ષ બાદ શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટી.પી. સ્કીમ બનાવવામાં આવે છે, પરંતુ અહીં વિકસિત થઈ ગયેલા વિસ્તારો માટે વર્ષો બાદ સ્કીમ લાવવામાં આવી રહી છે. ખફીએ સવાલ કર્યો કે, આ યોજના લાવવા પાછળનો હેતુ બિલ્ડરોને ફાયદો કરાવવાનો છે કે કેમ. આ બેઠકમાં કર્મચારી સેટઅપમાં સુધારા અને ફૂડ સેફ્ટી ઓફિસર સહિત અન્ય અધિકારીઓની નવી પોસ્ટ ઊભી કરવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગાંધીનગરમાં ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને કારણે અને 78-જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં તેમના વિસ્તારના કેટલાક કોર્પોરેટરોની ગેરહાજરી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:38 pm

કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમ્ન વાજાનો રાજ્ય મંત્રીમંડળમાં સમાવેશ:ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા, ગીર સોમનાથમાં આનંદ

કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજાને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની મંત્રીપદની જાહેરાત થતા જ કોડીનાર પંથક સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં, અનુસૂચિત જાતિ સમુદાય અને ભાજપ કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ડૉ. વાજા મૂળ અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા વિસ્તારના વતની અને ગણુભાઈ વાજાના પુત્ર છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. 2022માં તેમણે એલએલબી અને એલએલએમ પૂર્ણ કરીને કાયદા ક્ષેત્રે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ, તેમણે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કોડીનારથી વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં તેમણે કુલ 77,794 મત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર મહેશ મકવાણાને 19,386 મતોના અંતરથી પરાજિત કર્યા હતા. ડૉ. વાજાની કેબિનેટ મંત્રી તરીકેની પસંદગી બાદ લીલી-નાઘેર વિસ્તારમાં ફરી એકવાર મંત્રીપદનું પ્રતિનિધિત્વ આવ્યું છે. જિલ્લાના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો, 60-70ના દાયકામાં રાઘવજી લેઉઆ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહ્યા હતા. 1995માં લક્ષ્મણભાઈ પરમાર શંકરસિંહ વાઘેલા સરકારમાં રાજ્ય કક્ષાના જળસંપત્તિ મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2014થી 2019 દરમિયાન જે.ડી. સોલંકી ધારાસભ્ય રહી આનંદીબેન પટેલની સરકારમાં સંસદીય સચિવ તરીકે કાર્યરત હતા. ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજાની કેબિનેટમાં એન્ટ્રી સાથે કોડીનાર પંથકના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. લોકઅનુમાન મુજબ, તેમને આરોગ્ય, સમાજ કલ્યાણ અથવા કાયદા અને ન્યાય વિભાગના મંત્રીપદની જવાબદારી સોંપાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:36 pm

ભરૂચ મામલતદાર કચેરીઓનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ:કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન કરાયું

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુ પારદર્શક, સુલભ અને ઝડપભરી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભરૂચ શહેરના કલેક્ટર સંકુલમાં આવેલી ગ્રામ્ય તેમજ શહેર મામલતદાર કચેરીઓનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ પૂર્ણ થયા બાદ આજ રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા,અધિક કલેક્ટર એન.આર.ધંધાલ,(એસ.ડી.એમ.) મનીષા મનાણી તથા મામલતદાર માધવી મિસ્ત્રીના હસ્તે નવીનીકૃત કચેરીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કચેરીના સ્ટાફ, નાગરિકો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકૃત મામલતદાર કચેરીઓમાં આધુનિક ટેકનોલોજી આધારિત સુવિધાઓ સાથે આરામદાયક બેઠકો, નાગરિકો માટે સુવ્યવસ્થિત કાઉન્ટર સિસ્ટમ, ફાઇલ પ્રક્રિયાને સુગમ બનાવતી ડિજિટલ વ્યવસ્થા અને માર્ગદર્શન માટે માહિતી પેનલની સુવિધા ઉમેરવામાં આવી છે. અરજદારો હવે પોતાનાં વિવિધ શાસકીય કામ જેમ કે આવક, જાતિ, નિવાસ પ્રમાણપત્ર,જમીન સંબંધિત અરજીઓ વગેરે વધુ સરળતાથી અને સમયસર પૂર્ણ કરી શકશે. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારી સેવાઓ લોકોને નજીક લાવવી અને તેમની તકલીફો ઘટાડવી એ વહીવટી તંત્રનો મુખ્ય ધ્યેય છે. આ નવીનીકૃત કચેરીઓ નાગરિકોને વધુ પારદર્શક અને જવાબદાર શાસનનો અનુભવ કરાવશે. નવી સુવિધાઓના અમલથી અરજદારો ના રાહત સમય ઘટશે અને કાર્યપદ્ધતિ વધુ અસરકારક બનશે. વધુમાં કચેરીના સ્ટાફને નાગરિક-કેન્દ્રિત સેવાઓ માટે સતત પ્રતિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું. આ પહેલથી નાગરિકો માટેની વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:32 pm

'આપ'ની જિલ્લા કલેક્ટરને રજૂઆત:ગુજરાતની APMCમાં કળદો પ્રથા બંધ કરવા, બોટાદ ખાતે થયેલા કાર્યકરો પરના કેસ પાછા ખેંચવા સહિતની માંગ કરાઈ

આમ આદમી પાર્ટી રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકરોએ ગુજરાતની એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં કથિત રીતે ચાલતી કળદો પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરાવવા અને ખેડૂતો તેમજ વિરોધ પક્ષના નેતાઓ પર થયેલા કેસ પાછા ખેંચવાની માંગ સાથે રાજકોટમાં કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં, AAP એ બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતોની માંગને લઈને આયોજિત કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જ અને પક્ષના નેતાઓ પર ખોટી કલમો લગાવવા બદલ વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરો અને ખેડૂત આગેવાનો પર ખોટી કલમો લગાડવામાં આવી છેરાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ આવેદનપત્ર વાસ્તવમાં પોલીસની કાર્યવાહી સામે અમારું 'વિરોધપત્ર' છે. ખેડૂતોની માંગને લઈને ચાલી રહેલો શાંતિપૂર્ણ કાર્યક્રમ, જેમાં પ્રદેશ નેતાઓ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ પણ હાજર હતા, ત્યાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં આ બંને નેતાઓ સહિત અન્ય ઘણા કાર્યકરો અને ખેડૂત આગેવાનો પર ખોટી કલમો લગાડવામાં આવી છે, જે તાત્કાલિક પાછી ખેંચાવી જોઈએ. પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા 'દમન'ને તાત્કાલિક બંધ કરવાની માંગગાજીપરાએ સવાલ ઉઠાવ્યો હતો કે, વિરોધ પક્ષ જો બંધારણના નિયમ મુજબ વિરોધ નહીં કરી શકે તો કોણ કરશે? જ્યારે પણ આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ વિરોધ પક્ષ દ્વારા લોકોના જનહિત માટે કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવો અને ખોટી કલમો લગાવવી એ તદ્દન ગેરવાજબી છે. તેમણે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા આ 'દમન'ને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી. આવેદનપત્રનો મુખ્ય મુદ્દો ગુજરાતની APMCમાં પ્રવર્તતી કળદો પ્રથા હતી. AAP નેતાએ જણાવ્યું કે કળદો પ્રથા માત્ર બોટાદમાં જ નહીં, પરંતુ ગુજરાતના દરેક APMC સેન્ટરની અંદર ચાલુ છે, જેને તાત્કાલિક બંધ કરવી જોઈએ. આ પ્રથાથી ખેડૂતોને થતા અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવીને સ્પષ્ટ માગણી કરવામાં આવી છે કે, ખેડૂતો પર થયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે અને કળદો પ્રથાને સદંતર નાબૂદ કરવામાં આવે તે જરૂરી છે. આગામી દિવસોમાં AAP દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશેઆમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે, જો આ કળદો પ્રથા બંધ કરવામાં નહીં આવે અને તેમના નેતાઓ પરના કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં AAP દ્વારા રાષ્ટ્રવ્યાપી એક આંદોલન શરૂ કરવામાં આવશે. આ આંદોલન અંતર્ગત ખેડૂતોની મહાપંચાયત પણ યોજવામાં આવશે. પક્ષનું કહેવું છે કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને તેમનો હક તેમને મળે તે માટે તેઓ કાયદાકીય અને લોકશાહી ઢબે લડત ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:31 pm

મગફળીના ભાવ મુદ્દે સરદાર પટેલ ન્યાય સમિતિ મેદાનમાં:સરદાર પટેલ ન્યાય સમિતિએ વંથલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું:'ખેતી ખર્ચ સામે પોષણક્ષમ ભાવ મળતા નથી,'બોટાદના નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવાની પણ માંગ

ગુજરાતના ખેડૂતોને મગફળીના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજે સરદાર પટેલ ન્યાય સમિતિ દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે વંથલી મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના એક જૂથે મામલતદારને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. સરદાર પટેલ ન્યાય સમિતિના પ્રમુખ કમલેશભાઈ પાનસુરીયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમિતિની મુખ્ય રજૂઆત એ છે કે સરકારે મગફળીનો જે ટેકાનો ભાવ ₹1452 પ્રતિ મણ જાહેર કર્યો છે, તે ભાવથી નીચે કોઈ પણ યાર્ડમાં કે લાઇસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં ન આવે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ખેતી ખર્ચ સામે મળતા ભાવ પોસાય તેમ નથી: ખેડૂત કમલેશભાઈ પાનસુરીયાએ મોંઘવારીના મુદ્દે પણ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1975 માં જે ખર્ચ થતો હતો તેની સરખામણીએ વર્ષ 2025 માં બિયારણ, ખાતર, દવા અને વીજળી જેવા ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. ખેતીના ઉત્પાદનમાં થતો આ વધારો જોતાં, હાલમાં જાહેર કરાયેલા ટેકાના ભાવ ખેડૂતોને કોઈ પણ રીતે પોસાય તેમ નથી. વર્તમાન મોંઘવારીના દરોને ધ્યાનમાં રાખીને મગફળીના પોષણક્ષમ ભાવમાં તાત્કાલિક વધારો કરવો જોઈએ. બોટાદના નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવાની માંગ મગફળીના ભાવ ઉપરાંત, સરદાર પટેલ ન્યાય સમિતિએ બોટાદ જિલ્લામાં ખેડૂતો પર થયેલા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે, બોટાદમાં ખેડૂતો પર અત્યાચાર કરીને જે નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા છે, તેમને વહેલી તકે છોડી મૂકવામાં આવે. આ ખેડૂતોએ 'કડદા' નામના રાક્ષસને કાઢવા માટે અવાજ ઉઠાવ્યો હતો, જેના બદલામાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. આમ સરદાર પટેલ ન્યાય સમિતિ દ્વારા આજે વંથલી સહિત ગુજરાતના તમામ તાલુકાઓમાં મામલતદારને આવેદનપત્ર પાઠવીને મગફળીના ભાવમાં વધારો કરવા અને ખેડૂતો પરના અત્યાચાર અટકાવી નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવાની બે મુખ્ય માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:28 pm

સમી-વરાણા હાઇવે પર કાર-ટ્રેક્ટર અકસ્માત:ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર જ પલટી મારી ગઈ, બે લોકોને સામાન્ય ઇજા

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ નજીક હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, સમી હાઇવે પર એક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટોલાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. પલટી મારેલી કારમાંથી ફસાયેલા બે લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:23 pm

દેવગઢ બારીયા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું:પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર, 16 સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું, 7 સભ્યોએ વિરોધમાં મત આપ્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 16 સભ્યોની મજબૂત બહુમતીથી પસાર થઈ, જેના કારણે તેમની ખુર્શી પરથી હટાવવામાં આવ્યા છે. આજે નગરપાલિકાના સભાખંડ ખાતે ચીફ ઓફિસર વૈશાલી નિનામાના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. નગરપાલિકાના કુલ 24 સભ્યોમાંથી 22 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 2 સભ્યો ગેરહાજર રહ્યા. અવિશ્વાસ પ્રસ્તાવ અપક્ષના 8 સભ્યોએ રજૂ કર્યો હતો, જેમાં મુખ્ય આરોપોમાં પાણીની અછત, વિકાસ કાર્યોની મંદગતિ અને નાગરિક સુવિધાઓની અવગણનાનો સમાવેશ થતો હતો. પ્રમુખ ધર્મેશ કલાલે આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, કેટલાક સભ્યોના ગેરવાજબી અને નિયમવિરુદ્ધ કામોને અટકાવવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તમામ ઉપસ્થિત 23 સભ્યોની હાજરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું. આમાંથી 16 સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે પ્રમુખ સહિત માત્ર 7 સભ્યોએ વિરોધમાં મત આપ્યો. ઉલ્લેખનીય છે કે, ભાજપના જ 6 સભ્યોએ પ્રમુખ વિરૂદ્ધ મતદાન કર્યું હતું. જેને પગલે બહુમતી હોવા છતાં પ્રમુખની ખુર્શી ગઈ હતી. અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપનાર 16 સભ્યો: અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં મત આપનાર 7 સભ્યો: ગેરહાજર રહેલા 2 સભ્યો:

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 5:21 pm

VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ

Indian Fighter Jet Tejas MK1A : ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aએ શુક્રવારે (17 ઓક્ટોબર) સફળતા ઉડાન ભરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નાસિક ફેક્ટરી ખાતે આ અત્યાધુનિક જેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભર ભારત માટે એક મોટું પગલું છે. તેજસ Mk1Aની ખાસીયત

ગુજરાત સમાચાર 17 Oct 2025 5:05 pm

લઘુમતી સમાજને મકાન વેચવા પર વિરોધ:જોષીપરા સોસાયટીના રહીશોએ કલેક્ટર-SPને આવેદનપત્ર પાઠવ્યું, અશાંત ધારો લાગુ કરવા માંગણી કરાઈ

જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલી સર્વોદય નગર સોસાયટીના રહીશો દ્વારા આજે એક ગંભીર મુદ્દાને લઈને જૂનાગઢના કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે, તેમની સોસાયટી હિન્દુ રહીશોની અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, તેમ છતાં સોસાયટીના એક મકાન માલિક દ્વારા લઘુમતી જ્ઞાતિના વ્યક્તિને મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે, જેનો તેમણે સખત વિરોધ નોંધાવ્યો છે. અશાંત ધારો લાગુ કરવા અગાઉ પણ રજૂઆતો કરાઈઆવેદનપત્રમાં સોસાયટીના રહીશોએ સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે અગાઉ પણ અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે સોસાયટીના એક મકાન માલિક લાખા વિરમભાઈ દ્વારા એક લઘુમતી જ્ઞાતિના વ્યક્તિને મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે. સંમતિ વિના મકાન વેચાણ કરાતા રોષસોસાયટીના રહીશોએ આવેદનપત્રમાં મુખ્ય ફરિયાદ કરી છે કે, મકાન વેચતા પહેલા લાખા વિરમભાઈ દ્વારા સોસાયટીના અન્ય રહીશોને આ અંગે જાણ કરવામાં આવી નથી કે તેમની સંમતિ લેવામાં આવી નથી. રહીશોની સંમતિ વિના જ આ મકાન વેચાણ કરી દેવામાં આવ્યું છે. મકાનનું વેચાણ તાત્કાલિક ધોરણે અટકાવવા માગસર્વોદય નગર સોસાયટીના રહીશ હરેશભાઈ બારડે મીડિયાને જણાવ્યું હતું કે, આજે અમે Dy.SP કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. જેનું મુખ્ય કારણ એ છે કે, સર્વોદય સોસાયટીમાં લઘુમતી જ્ઞાતિના વ્યક્તિને રહેવા માટે મકાન વેચવામાં આવ્યું છે. અમારી મુખ્ય માગણી એ છે કે, આ સોસાયટીમાં જે પણ મકાન માલિક પોતાનું મકાન વેચે, તે લઘુમતી જ્ઞાતિના વ્યક્તિને ન આપવામાં આવે અને સોસાયટીના અન્ય રહીશોની સંમતિ લેવામાં આવે. રહીશોએ જૂનાગઢ કલેક્ટર અને SPને આ મકાનનું વેચાણ તાત્કાલિક ધોરણે અટકાવવા અને લઘુમતીના લોકોને સર્વોદય નગર સોસાયટી જોષીપરામાં વસવાટ કરતા અટકાવવા માટે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:59 pm

ભૂપેન્દ્ર પટેલના નામ પર ભાજપ મૃદુ અને મક્કમ કેમ રહ્યું?:10 મંત્રીઓને ઘર ભેગા કર્યા પણ CMને અડીખમ રાખ્યા, 6 ફેક્ટરના કારણે દાદાનો દબદબો યથાવત્

ફરી એકવાર સાબિત થઈ ગયું કે ભાજપ હાઇકમાન્ડ ભૂપેન્દ્ર પટેલના નામ પર મક્કમ છે. લાંબા રાજકીય સસ્પેન્સ અને આગાહીઓ ચાલતી હતી કે સરકારમાં કેટલા અંશે પરિવર્તન આવશે? મંત્રીમંડળમાં નવા ચહેરા ઉમેરાશે? જૂનાને પરફોર્મન્સ અને છાપના આધારે કાઢવામાં આવશે કે પછી વિજય રૂપાણી વખતે થયું હતું એમ મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ ઘર ભેગું થશે! છેલ્લા એક અઠવાડિયામાં દિલ્હી સુધીના આંટાફેરા અને મેરેથોન બેઠકો બાદ આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. અગાઉના કુલ 16 મંત્રીઓમાંથી માત્ર 6ને રિપિટ કરાયા અને 10 મંત્રીઓને પડતા મૂકાયા. એટલે કે અડધા કરતા વધારે મંત્રીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી પણ ભૂપેન્દ્ર પટેલ પર હાઇકમાન્ડનો વિશ્વાસ અકબંધ છે. જેની પાછળની રણનીતિ અને કારણો પણ ઘણા છે. અગાઉ ઘણીવાર એવો મહોલ બન્યો હતો કે ભૂપેન્દ્ર પટેલ પોતાના અંગત કારણોસર મુખ્યમંત્રી પદ છોડી શકે છે. 2022ની વિધાનસભા ચૂંટણી સમયે પણ આ વાતનો ગણગણાટ હતો. છતાં હાઇકમાન્ડે સી.આર.પાટીલની રણનીતિ અને ભૂપેન્દ્ર પટેલના ચહેરાને આગળ ધરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેનું પરિણામ એ આવ્યું કે ભાજપને જંગી બહુમત સાથે 156 બેઠકો પર જીત મળી હતી. ત્યાર બાદ પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજયધ્વજ ફરકતો રહ્યો. હાલના સમયે ભાજપ પાસે 182 સીટમાંથી 161 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. ભાજપ હાઇકમાન્ડની ગુડ બૂકમાં ભૂપેન્દ્ર પટેલના નામને લઇને ક્યારેય પક્ષમાં કે હાઇકમાન્ડ કક્ષાએ બે મત રહ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરને હંમેશા ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ રહ્યો છે. આ જ કારણ છે કે તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું અને નવા વ્યક્તિને તેમના સ્થાને મુકવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. ઓપરેશન ગંગાજળ ચલાવ્યું ગુજરાતના અધિકારી બેડા પર ભ્રષ્ટાચારના કેટલાય આરોપ લાગ્યા. પરંતુ આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સમયાંતરે ચૂપચાપ ચાબુક વિંઝતા રહ્યા છે. તેમણે રાજ્ય સરકારમાં વર્ગ 1 અને 2ના એક ડઝનથી વધુ સિનિયર અધિકારીઓને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાની વાત મળતા જ નોકરીમાંથી છૂટા કર્યા છે. અધિકારીઓમાં મુખ્યમંત્રીની આ નીતિની ચર્ચા ઓપરેશન ગંગાજળ તરીકે થાય છે. વ્યક્તિગત મહાત્વાકાંક્ષા નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એવી છાપ રહી છે કે તેમની કોઈ વ્યક્તિગત મહાત્વાકાંક્ષા નથી. એટલે કે તેમના માટે પદની લાલસા મહત્વની નથી. આ વાત ભાજપના જ ઘણા નેતાઓ સ્વીકારે છે. જેના કારણે ભાજપમાં તેમને કોઈએ પોતાના હરિફ તરીકે જોયા નથી. જ્ઞાતિ સમીકરણ બાબતે યોગ્ય ચહેરો ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું પ્રભુત્વ હંમેશાથી રહ્યું છે. કેશુભાઈ પટેલના રાજીનામા બાદ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ કેબિનેટમાં પાટીદારોનું પ્રતિનિધિત્વ સંતુલિત રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ આનંદીબેન પટેલ પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા એટલે પાટીદાર વોટબેંક ભાજપની પડખે રહે એવું ભાજપને લાગતું હતું. જો કે પાટીદાર આંદોલન બાદ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જ્યારે રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પણ પાટીદારોની અવગણના ન થાય અને સત્તાનું સંતુલન જળવાઇ રહે એ માટે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. વળી, જ્યારે 2021માં ફરી એકવાર સત્તા પરિવર્તન થયું ત્યારે રૂપાણી અને નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હટાવી દેવામાં આવ્યું. નવી ટીમના સુકાની ભૂપેન્દ્ર પટેલ બન્યા અને ઋષિકેશ પટેલ તેમજ રાઘવજી પટેલ જેવા પાટીદાર નેતાઓને સારા એા ખાતાની સોંપણી કરવામાં આવી. આમ, પાટીદાર ફોર્મ્યુલા પર ભૂપેન્દ્ર પટેલ ખરા ઉતરતા રહ્યા છે. તેમના સ્થાને નવો પાટીદાર ચહેરો ઉભો કરવો એ પણ હાઇકમાન્ડને હાલના તબક્કે યોગ્ય નહીં લાગ્યું છે. ભ્રષ્ટાચાર બાબતે નિર્વિવાદિત છાપ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બન્યે ચાર વર્ષનો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં વ્યક્તિગત રીતે તેમના પર એકપણ દાગ લાગ્યો નથી. ત્યાં સુધી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમના પર વ્યક્તિગત આરોપ લગાવ્યો નથી. અગાઉના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સરકાર પર તેમજ પક્ષમાંથી ઘણા ગંભીર આરોપ લાગતા રહ્યા હતા. હાલમાં પણ ભાજપમાં જૂથવાદના ઘણા દાખલા તો સામે આવ્યા છે. પરંતુ છેવટે ભૂપેન્દ્ર પટેલના નામ બાબતે તો સૌકોઈ એકમત જ રહ્યા છે. એટલે ભૂપેન્દ્ર પટેલનું પદ સલામત રહેવા પાછળનું એક કારણ આ પણ છે. લોકોમાં સારી ઇમેજ 2021માં જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકોમાં જ નહીં, ભાજપના જ ઘણા દિગ્ગજ નેતાઓ માટે સરપ્રાઇઝ નિર્ણય હતો. કારણ કે તેઓ 2017માં પહેલીવાર ઘાટલોડિયાથી મુખ્યમંત્રી બન્યા હતા. એટલે ગુજરાત કક્ષાએ તેમની ઓળખ ખૂબ ઓછી હતી. પરંતુ મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળ્યા બાદ તેમણે ગુજરાત પ્રવાસ કર્યો અને ધીમે-ધીમે લોકોમાં તેમની સારી ઓળખ ઉભી થતી ગઈ. ભાજપે પણ તેમના સ્વભાવને જોતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે લોકો સમક્ષ રજૂ કર્યા. વિવિધ કાર્યક્રમોમાં પણ ભાષણ સમયે તેઓ ઘણીવાર હળવા મૂડમાં જોવા મળે છે અને લોકબોલીમાં લોકોને ગમે એવી રીતે વાત રજૂ કરતા હોય છે. જે લોકોમાં તેમની સકારાત્મક અને ભાવનાત્મક છાપ ઉભી કરે છે. આ તમામ મુદ્દાઓને જોતા ભાજપને ભૂપેન્દ્ર પટેલની જરૂર છે એવું કહેવામાં પણ રાજકીય પંડિતોને અતિશયોક્તિ નથી લાગતી. અગાઉ તેમની કેબિનેટમાં કુલ 16 મંત્રીઓ હતા. હવે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કુલ 25 મંત્રીઓનું સંખ્યાબળ છે. એટલે ખાતાઓની વહેંચણી વ્યવસ્થિત થઈ શકશે. વળી, હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે ભાજપ હાઇકમાન્ડે એક રીતે ભૂપેન્દ્ર પટેલ પર ભાર હળવો કર્યો છે અને તેમની નિર્વિવાદિત અને સાફ છબિના આધારે ગુજરાતમાં શાસન કરવા ઇચ્છે છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:54 pm

મુક્તજીવન સ્વામીબાપાનું ટ્રફાલ્ગર સ્કવેર પ્રવચન પ્રકાશિત:કુમકુમ મંદિર દ્વારા 55 વર્ષ જૂના અંગ્રેજી પ્રવચનની લિરિક્સનું વિમોચન

અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ 55 વર્ષ પૂર્વે ટ્રફાલ્ગર સ્કવેર પર આપેલું પ્રવચન પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભાવિક ભક્તો સ્વામિનારાયણ મંદિર કુમકુમની યુટ્યુબ ચેનલ પરથી આ પ્રવચનનો લાભ લઈ શકશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે આફ્રિકા, યુરોપ અને અમેરિકાની ધરતી પર સૌ પ્રથમ પધારીને દારૂ, માંસ, વ્યભિચાર જેવા દૂષણોથી યુક્ત પ્રજાને જ્ઞાનદાન દ્વારા મુક્તિ આપી હતી. તેમણે સ્વામી વિવેકાનંદજી સાથે સરખામણી કરતા કહ્યું કે, જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં સૌ પ્રથમ સભા સંબોધીને ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કર્યો હતો, તેમ જીવનપ્રાણ સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કવેર પર 17 ઓક્ટોબર, 1970ના રોજ અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને 17 ઓક્ટોબર, 2025ના રોજ 55 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે કુમકુમ મંદિર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના તે અંગ્રેજી પ્રવચનને ગુજરાતીમાં રૂપાંતરિત કરીને આજના યુગની AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની લિરિક્સ તૈયાર કરવામાં આવી છે. આ લિરિક્સ પ્રકાશિત કરવામાં આવશે અને દેશ-વિદેશના ભક્તોને મોકલી આપવામાં આવશે, તેમજ કાયમી લાભ માટે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:44 pm

ભાવનગરના ફટાકડા બજારમાં ખરીદીનો માહોલ:દિવાળી કાઉન્ટડાઉન સાથે બજારોમાં ફટાકડાની ખરીદી શરૂ, દુકાન પર બાળકો અને યુવાઓની ભીડ

દિવાળીની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ભાવનગર શહેરના મુખ્ય બજારોમાં ફટાકડાની દુકાનો પર ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક અવનવી વેરાયટીના ફટાકડા ખરીદતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાન પર બાળકો અને યુવાઓની ભીડ છે. નાના-મોટા તમામ પ્રકારના ફટાકડા દુકાનોમાં ઉપલબ્ધ છે. ફૂલઝર, ભમચકરડી, સૂતળી બોમ્બ, રોકેટ, લક્ષ્મી બોમ્બ, તારા મંડળ, મિર્ચી બોમ્બ અને પોપઅપ જેવી વેરાયટીઓ સાથે નવી ડિઝાઇનના ફટાકડાઓ પણ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આ વર્ષે મોટો અવાજ કરતા ફટાકડા કરતા રંગીન ફટાકડાની માગ વધુ જોવા મળી છે. બજારોમાં અવનવી ફટાકડાની વેરાયટીદિવાળી તહેવારને લઈ ભાવનગરની બજારોમાં અવનવી ફટાકડાની વેરાયટી જેમાં અંજતા સૂતળી બૉમ્બના 65 રૂપિયાથી લઈ 400 સુધીના ભાવો છે, તાજમહેલના 30 રૂપિયાથી લઈ 250 સુધીના ભાવો છે, લક્ષ્મી બૉમ્બના રૂપિયા 25થી લઈ 60 રૂપિયા સુધીના ભાવો છે, રોકેટ નાની સાઈઝ અને મોટી સાઈઝના 50 રૂપિયા થઈ લઈ 500 રૂપિયા સુધીના ભાવો છે, તળતળિયાના 30 રૂપિયા 60 રૂપિયા સુધીના ભાવો છે, ફુલઝર અવનવી વેરાયટી 20 રૂપિયાથી લઈ 300 રૂપિયા સુધીના ભાવો છે. 12 શોટથી લઈ 500 શોટ સુધીના અવનવી વેરાયટીદાડમમાં અવનવી વેરાયટી 120થી લઈ 700 સુધીના ભાવો છે, સાથે 12 શોટથી લઈ 500 શોટ સુધીના અવનવી વેરાયટીઓ બજારમાં નવા રૂપરંગ સાથે આવી છે. જેના ભાવો 260 રૂપિયાથી લઈ રૂપિયાના 18000 ભાવો છે અને ફટાકડાની સર 1000ની સરથી લઈ 10000 હજારની સરમાં પણ નાની સાઈઝોથી લઈ મોટી સાઈઝમાં રૂપિયા 1000થી લઈ 10,000 હજાર ભાવોમાં વેચાઈ રહી છે. વોકલ ફોર લોકલના મંત્રને અનુરૂપ સ્વદેશી ફટાકડાની ખરીદીફટાકડા વેપારી મેહુલ વડોદરિયા જણાવે છે કે, આ વર્ષે વોકલ ફોર લોકલના મંત્રને અનુરૂપ સ્વદેશી ફટાકડાની જ ખરીદી થઈ રહી છે. ઓપરેશન સિંદૂર, અર્જુન ટેન્ક, ઝૂમર ફૂલઝર જેવી નવી વેરાયટીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે. જીએસટીના દરો યથાવત છે અને ગત વર્ષની સરખામણીએ ભાવ સ્થિર રહ્યા છે. ભાવનગરના નાગરિકોમાં ખુશી અને ઉત્સાહ સાથે દિવાળી પર્વની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:39 pm

સામાન્ય સભામાં ‘માપમાં રહેજો’ની ચીમકી અને તું-તું મૈં-મૈં:શિસ્તભંગ બદલ 3 કોર્પોરેટર સસ્પેન્ડ, 2 લાખ કરોડના ખર્ચનું ઓડિટ જાહેર કરો, વિપક્ષે શાસકોને ખુલ્લો પડકાર ફેંક્યો

સુરત મહાનગરપાલિકાની દિવાળી પૂર્વેની સામાન્ય સભા આજે રાજકીય ગરમાવા, ભ્રષ્ટાચારના આકરા આક્ષેપો અને આખરે વિપક્ષી સભ્યોના સસ્પેન્શનના કારણે યાદગાર બની રહી છે. આપના મહિલા કાઉન્સિલર પાયલ સાકરિયાએ શાસક પક્ષના ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીની વાસ્તવિકતા પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે સભાની ગરિમા લજવાય એવા તું-તું મૈં-મૈં અને ખુલ્લી ધમકીના દૃશ્યો સર્જાયા હતા. આખરે, અધ્યક્ષની સૂચનાનું પાલન ન કરવા અને સભાનું રેકોર્ડિંગ કરવાના મુદ્દે આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. AAPના 3 કોર્પોરેટરો સસ્પેન્ડસુરત મનપાની સામાન્ય સભામાં આજે સૌથી મોટો વળાંક આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવાનો રહ્યો. સસ્પેન્ડ થયેલા સભ્યોમાં રચના હીરપરા, ઉપદંડક મહેશ અણઘડ અને મનીષા કુકડીયાનો સમાવેશ થાય છે.AAPના સભ્ય મહેશ અણઘડ અને રચના હીરપરાને વારંવાર અધ્યક્ષ સ્થાનેથી શાંતિ જાળવવા અને પોતાની બેઠક પર બેસવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેનું પાલન કર્યું નહોતું. બીજી તરફ, મનીષા કુકડીયા સભા દરમિયાન પોતાના મોબાઈલ ફોન પર લાઇવ રેકોર્ડિંગ કરી રહ્યા હતા, જે નિયમભંગ ગણાય છે. વારંવારની ચેતવણીઓ છતાં નિયમનું પાલન ન થતાં, આ ત્રણેય કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ત્રણ કોર્પોરેટરના સસ્પેન્શનનો ઉલ્લેખ છેઆ સસ્પેન્શન પાછળનો બીજો એક મોટો વિવાદ ગત સભામાંથી ઊભો થયો હતો. આપમાંથી ભાજપમાં આવેલા એક મહિલા નગરસેવકે વિપક્ષના બે કોર્પોરેટરો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દે સતત બીજી સભામાં શાસક પક્ષના કોર્પોરેટરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભાજપે એવી માગણી પર અડી ગઈ હતી કે, જ્યાં સુધી મહિલાનું જાતિ વિષયક અપમાન કરનારા નગરસેવકો માફી ન માંગે ત્યાં સુધી તેમને બોલવા દેવામાં આવશે નહીં. વિપક્ષે સામે દલીલ કરી હતી કે, ભૂલ કરી હોય તો માફી મંગાય, ન કરી હોય તો માફી માંગવાનો સવાલ નથી. આ ઘર્ષણ અને હોબાળાને પગલે બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, રિપોર્ટમાં ત્રણ કોર્પોરેટરના સસ્પેન્શનનો ઉલ્લેખ છે. જ્યારે ઉપનેતા મહેશ અણઘડ દરખાસ્ત પર બોલવા ઊભા થયા, ત્યારે પણ ભાજપના કોર્પોરેટરોએ માફી માંગવાની માગ સાથે સિક્યુરિટી સ્ટાફને દોડાવ્યો હતો. શાસકોના 'વિકાસ સપ્તાહ'ની પોલ ખોલતો વિપક્ષસામાન્ય સભામાં વિપક્ષે શાસક પક્ષના ‘વિકાસ સપ્તાહ’ના નામે ચાલી રહેલી ઉજવણી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પાયલ સાકરિયાએ શાસકોના અણઘડ વહીવટની પોલ ખોલી હતી. સાકરિયાએ સવાલ ઉઠાવ્યો કે: “એક બાજુ વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, જ્યારે શહેરમાં 12 વર્ષની બાળકી ખાડામાં પડી જવાથી મોત પામે છે એ વિચારવા જેવી વાસ્તવિકતા છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન ટર્મના સાડા ચાર વર્ષમાં થયેલા કામોની સમીક્ષા થવી જોઈએ. તેમણે વહીવટની અન્ય ગંભીર ખામીઓ પર ધ્યાન દોરતા કહ્યું કે, પાંચ કરોડનો ખર્ચ કર્યા છતાં ડોગ બાઇટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાના છેલ્લા 5 વર્ષમાં 2 લાખ કરોડના ખર્ચનું ઓડિટ આજદિન સુધી જાહેર થયું નથી. ફાયર જવાનોને પૂરતા સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી. અવાજ ઉઠાવનારની બદલી કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત ફાયર કર્મીઓએ પોતાનો સારવાર ખર્ચ પણ જાતે જ ઉઠાવવો પડે છે. મનપાના છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ જાહેર કરી બતાવોસાકરિયાએ આ તમામ પરિસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી પર સવાલ ઉઠાવતા 'બોટાદથી ગાજેલો કડદો' શબ્દનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે આ શબ્દ મનપાની સભામાં પણ ગાજી રહ્યો છે, જે ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ ઇશારો હતો. તેમણે શાસક પક્ષને પડકાર ફેંકતા કહ્યું કે: મનપાના છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ જાહેર કરી બતાવો. સાકરિયાના વક્તવ્ય દરમિયાન શાસક પક્ષના અમિત રાજપૂત અને દિનેશ રાજપૂત સહિતના સભ્યોએ વચ્ચે બોલીને તેમને ટોકવાનો અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. 'શું માત્ર ભ્રષ્ટાચાર માટે કામ થાય છે?' સામાન્ય સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ ઉઠાવ્યો હતો. તેમણે સેન્ટ્રલ ઝોનના સલાબતપુરા વિસ્તારમાં ફિશ માર્કેટ ઉતારી પાડવાના કામ દરમિયાન તીખી ટિપ્પણી કરી હતી. સુહાગીયાએ જણાવ્યું કે શહેરમાં કરોડોના ખર્ચે અનેક પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે, પરંતુ અણઘડ આયોજનના કારણે તે આજ ઉપયોગ વિના ખંડેર બની ગયા છે. તેમણે આવા પ્રોજેક્ટોની યાદી આપી જેમાં લિંબાયતનું ફ્લાવર ગાર્ડન (આશરે 14 કરોડ), અન્ય ઝોનમાં 10 કરોડનો ચિલ્ડ્રન પાર્ક, વરાછા ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કોસાડ અને બોમ્બે માર્કેટના કમ્યુનિટી હોલ, કેનાલ રોડ અને પૂણા વેજિટેબલ માર્કેટ શામેલ છે. સુહાગીયાએ સવાલ ઉઠાવ્યો કે, “શું આવા પ્રોજેક્ટો માત્ર ભ્રષ્ટાચારને આશ્રય આપવા માટે જ સાકાર કરવામાં આવે છે?” તેમના આ સવાલથી શાસક પક્ષના સભ્યો થોડા સમય માટે બેકફૂટ પર આવી ગયા હતા. તેમણે આગ્રહ રાખ્યો કે પાલિકાએ જાહેર નાણાંનો બગાડ રોકવા માટે આવા પ્રોજેક્ટોની ઉપયોગિતાની સમીક્ષા કરવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સામાન્ય સભામાં માપમાં રહેજો'ની ચીમકી અને તું-તું મૈં-મૈઆજની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોની શબ્દોની આતશબાજી અને બોલ-બચ્ચનના કારણે સભાની ગરિમા લજવાઈ હતી. વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ જ્યારે શાસકોની દુખતી રગ પર હાથ મૂક્યો ત્યારે ભાજપના મહિલા કોર્પોરેટરો ઉગ્ર થઈ ગયા હતા.સૌથી વધુ વિવાદ ભાજપના કોર્પોરેટર ઉર્વશી પટેલના નિવેદનથી થયો હતો. ઉર્વશી પટેલે મોટા બરાડા પાડીને અનેક વાત કર્યા બાદ સીધું જ વિપક્ષને “માપમાં રેજો” તેવી ખુલ્લી ધમકી આપી દીધી હતી. વિપક્ષે આ બાબતનો વિરોધ નોંધાવ્યો અને સભાની કાર્યપદ્ધતિનું પાલન કરવાની માગ કરી, કારણ કે અધ્યક્ષ સ્થાનેથી વારંવાર શાંતિ જાળવવાની અપીલ છતાં ગરિમા જળવાઈ નહોતી. આ ઉપરાંત, માજી શાસક પક્ષ નેતા અમિત રાજપૂત વિપક્ષ પર ટિપ્પણી કરતા હતા, ત્યારે વિપક્ષના મહિલા કોર્પોરેટરે વળતો પ્રહાર કરતાં ટિપ્પણી કરી હતી કે: “જો જો ફરી દવા પીવાનો વખત નહીં આવે.” આ તું-તું મૈં-મૈં અને વ્યક્તિગત આક્ષેપોથી સભામાં ભારે હો-હા થઈ ગઈ હતી, અને મેયર પણ અનેક વખત માત્ર પ્રેક્ષકોની ભૂમિકામાં આવી ગયા હતા.અંતે, સાકરિયાના વક્તવ્ય દરમિયાન શાસક પક્ષના સભ્યોના સતત હોબાળાના કારણે અધ્યક્ષે શૂન્યકાળ પૂરો કરવાની જાહેરાત કરીને વિપક્ષી નેતાને બેસાડી દીધા હતા, જેનાથી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. સુરત પાલિકાની આ સામાન્ય સભા શિસ્તભંગ, આક્ષેપો અને આખરે સસ્પેન્શનની કાર્યવાહીના કારણે ચર્ચામાં રહી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:23 pm

આણંદ જિલ્લાના બે ધારાસભ્યો ગુજરાત મંત્રીમંડળમાં સામેલ:બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી કેબિનેટ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી બન્યા

ગુજરાતના નવા મંત્રીમંડળની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાંથી બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અમદાવાદના મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓએ શપથ લીધા હતા. આ શપથવિધિમાં બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે, જ્યારે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. નવા મંત્રીમંડળમાં આણંદ જિલ્લાના બે ધારાસભ્યોનો સમાવેશ થતાં જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી વિશેરમણભાઈ ભીખાભાઈ સોલંકી ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદના રહેવાસી અને મુળ જંત્રાલ ગામ (તા.બોરસદ) ના વતની છે. તેમણે ધોરણ 10 પાસ કર્યા બાદ કૃષિમાં ડિપ્લોમા કર્યું છે. અગાઉ તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ જંત્રાલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તેમજ આણંદ જીલ્લા પંચાયત સદસ્ય પણ રહી ચૂક્યાં છે. રમણભાઈ સોલંકી અગાઉ બે વાર અને તેઓના પત્નિ એક વખત બોરસદ બેઠક ઉપરથી ચૂંટણી હાર્યાં હતાં. જોકે, 2022 ની ચૂંટણીમાં રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારને 11,165 મતોના માર્જિનથી હરાવી, પ્રથમ વખત ધારાસભ્ય બન્યાં હતાં. આઝાદી બાદ પ્રથમ વખત બોરસદ વિધાનસભા જીતનાર રમણભાઈ સોલંકીને નાયબ મુખ્ય દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી. ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકની જવાબદારી સુવ્યવસ્થિત રીતે નિભાવનાર રમણભાઈ સોલંકીને હવે કેબિનેટ મંત્રી તરીકેનો હોદ્દો મળ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ વિશેકમલેશભાઈ પટેલ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદના વતની છે. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશભાઈ પટેલના પુત્ર છે. તેઓએ M.Sc B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નાનપણથી RSS સાથે જોડાયેલા હતા અને 2022 ની ચૂંટણીમાં તેઓ ભાજપના મેન્ડેડ પર પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને 7,954 જેટલા મતોથી જીત મેળવી. આજે તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હોદ્દો પ્રાપ્ત થયો છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:20 pm

બનાસકાંઠામાં સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક:સાંસદો-ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા, કલેક્ટરે આપ્યા સૂચનો

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો તેમજ અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે બેઠકમાં મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો અને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને, ખાણ ખનીજ, રોડ રસ્તા અને નેશનલ હાઈવે સંબંધિત રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટર મિહિર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા કરતા કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે, જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ સમયસર મળે અને તમામ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. તેમણે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પ્રજાના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા અને વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:14 pm

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ મોંઘી પડી:RMCના ફૂડ વિભાગ દ્વારા 4 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં વેપારીઓને 95,000નો દંડ, તહેવારોને લઈ વધુ 51 ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા અને ભેળસેળ નિયંત્રણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે લેવાયેલા 4 ખાદ્યપદાર્થના નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં, એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ. 95,000/- દંડના હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખાદ્ય સુરક્ષાના ધારાધોરણોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ માટે એક કડક સંદેશ છે. કેસ-1: સેકરીન (લુઝ)માં ભેળસેળ બદલ રૂ. 15,000 દંડફૂડ વિભાગ દ્વારા આબાદ ગૃહ ઉદ્યોગ, દિનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રાજકોટ મુકામેથી સેકરીન (લુઝ) નો નમૂનો લેવામાં આવ્યો હતો. પૃથ્થકરણ રિપોર્ટમાં આ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, કારણ કે આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે સેકરીન ને બદલે તેમાં અસ્પાર્ટમ મળી આવ્યું હતું. આ ગંભીર પ્રકારની ભેળસેળ ગણાય છે. આ અંગેના કેસમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, રાજકોટ દ્વારા નમૂનો આપનાર પેઢીના સંચાલક ઈસ્માઈલ ગફારભાઈ લાખાણી અને ઉત્પાદક પેઢીના માલિક કૌશરબાનુ ઈસ્માઈલભાઈ લાખાણીને કુલ મળીને રૂ. 15,000નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેસ-2: અંજીર કાજુ આઇસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછો હોવાથી રૂ. 20,000 દંડફૂડ વિભાગ દ્વારા શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ, ચુડાસમા પ્લોટ, રૈયા રોડ, રાજકોટ મુકામેથી અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ) નો નમૂનો લેવાયો હતો. જે પુથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જેનું કારણ આઇસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવવું હતું, જે ગુણવત્તામાં ઘટાડો સૂચવે છે. આ કેસમાં નમૂનો આપનાર ગોરધનભાઈ શિંગાળા તથા ભાગીદારી પેઢીને કુલ મળી રૂ. 20,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. કેસ-3 અને 4: 'ક્રીમઝેન ફૂડઝ પ્રા.લી.' ને બે કેસમાં કુલ રૂ. 60,000 દંડક્રીમઝેન ફૂડઝ પ્રા.લી., નાના મવા રોડ, રાજકોટ મુકામેથી ફૂડ વિભાગ દ્વારા આઇસ્ક્રીમના બે જુદા-જુદા નમૂના લેવામાં આવ્યા હતા, જે બંને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેમાં પ્રથમ, કેસર પિસ્તા આઇસ્ક્રીમ (લુઝ) નો નમૂનો લેવાયો હતો. બીજો, સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ) નો નમૂનો લેવાયો હતો. બંને નમૂનાના પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ બંને કેસ માટે એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, રાજકોટ દ્વારા નમૂનો આપનાર-પેઢીના સંચાલક દીપભાઈ જિતેન્દ્રભાઈ જોષી અને પેઢીના નોમિની લીનાબેન પરેશભાઈ પરસાણા તથા ઉત્પાદક પેઢીને કુલ મળીને દરેક કેસમાં રૂ. 30,000 લેખે, એમ કુલ રૂ. 60,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. તહેવારને અનુલક્ષીને 51 ખાદ્યચીજોના નમૂના લેવાયાઆ ઉપરાંત, આગામી તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ અને નમૂના લેવાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નીચે દર્શાવેલ વિગતો મુજબ ખાદ્યચીજોના કુલ 51 નમૂના લેવામાં આવ્યા છે. નમૂનાઓમાં ડ્રાયફ્રુટ્સ, મીઠાઈઓ અને ફરસાણ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે તહેવારોના સમયમાં વધુ વપરાય છે. 51 નમૂનાઓની વિગતોડ્રાયફ્રુટ્સ અને સંબંધિત વસ્તુઓ (કુલ 17 નમૂના): જેમાં ASSORTED DRAGES, અંજીર, કાળી દ્રાક્ષ, રોસ્ટેડ રોઝ પેટલ્સ કેશ્યુ, દ્રાક્ષ, કાજુ, BLUNUTS BLACK RAISINS, RICH VALLEY CALIFORNIS PISTACHIOS, અખરોટ, બદામ, જરદાલુ, પેરી પેરી કાજુ, બદામ, અને HALDIRAM'S MANGO HALVA (200 GM PKD) અને HALDIRAM'S ALL IN ONE INDIAN SAVOURIES (400 GM. PACK) નો સમાવેશ થાય છે. આ નમૂનાઓ ગોકુલ એન્ટરપ્રાઇઝ, એપેક્ષ ટ્રેડર્સ, ઝીવેલ ડ્રાયફૂટ્સ, દર્શન ડ્રાયફ્રૂટ્સ, શ્રીજી ડ્રાયફ્રૂટસ, રાજેશ એન્ટરપ્રાઇઝ અને પ્રકાશ ટ્રેડર્સ જેવી પેઢીઓમાંથી લેવામાં આવ્યા હતા. મીઠાઈઓ (કુલ 18 નમૂના): અંજીર પાર્ક, એકઝોટીકા, HALDIRAM'S ORANGE BURFEE, રજવાડી ડ્રાયફ્રૂટ મીઠાઇ, ખજૂર પાર્ક, મેંગો બરફી, ગુલાબ પાર્ક, પિસ્તા બરફી, કોપરાનો મેસુબ, બટરસ્કોચ બરફી, મોહનથાળ, કોપરા પાર્ક, દૂધના પેંડા, માવાના પેંડા, થાબડી, ટોપરા પાર્ક, અને કાજુકતરીના નમૂનાનો સમાવેશ થાય છે. આ નમૂનાઓ રાધેશ્યામ ડેરી ફાર્મ, મહાલક્ષ્મી ડેરી ફાર્મ, રસગુંજન સ્વીટ્સ, રાધે ડેરી ફાર્મ, કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, ચામુંડા ફરસાણ એન્ડ નમકીન, શ્રી બહુચરાજી સ્વીટ એન્ડ નમકીન, શ્રી ભવાની ડેરી ફાર્મ, રાધિકા ડેરી ફાર્મ અને નવરંગ ડેરી ફાર્મ જેવી જગ્યાઓ પરથી લેવામાં આવ્યા. ફરસાણ (કુલ 16 નમૂના): પૈવાનો ચેવડો, પંચરત્ન ચેવડો, તીખી સેવ, ફરાળી ચેવડો, કેળાં વેફર્સ, પાપડી, સેવ ગૂંદી, તીખા ગાંઠિયા, મીઠા સાટા, ભાવનગરી ગાંઠિયા, મેસુબ, તીખી પાપડી, અને વણેલા ગાંઠિયા જેવા ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ શ્યામ ગૃહ ઉદ્યોગ, શક્તિ ફરસાણ નમકીન, શ્રીહરી સુપર માર્કેટ, ચામુંડા ફરસાણ, મહાદેવ ફરસાણ, ગિરિરાજ ફરસાણ, રવિ રાંદલ ફરસાણ અને મહારાજ ફરસાણ માર્ટ જેવી દુકાનોમાંથી લેવામાં આવ્યા હતા.લેવાયેલા આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવા ચેતવણીઉલ્લેખનીય છે કે, ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકોને તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે, રાજકોટ મહાનગરપાલિકાએ તમામ ખાદ્ય વિક્રેતાઓને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટનું ચુસ્તપણે પાલન કરવાની અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવા ચેતવણી આપી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 4:09 pm

અકસ્માતની દાઝ રાખી માતા-પુત્ર પર હુમલો:કાળીયાબીડમાં બે મહિના પહેલા સ્કૂટર અથડાવ્યાની દાઝ રાખી પતિ-પત્ની અને પુત્રીએ કુહાડીના ઘા ઝીંક્યા

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બે મહિના પહેલા અકસ્માતની દાઝ રાખી એક પરિવારે પડોશમાં રહેતા માતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાઈક અથડાવવાની બાબતને લઈને ઝઘડો કર્યો હતોઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા મોમાઈ ચોકમાં રહેતા અજય દીપક ચુડાસમા (ઉં.વ.21, રહે.પ્લોટ નંબર 2709 શેરી નંબર 2) વાળાની બાઈક આજથી બે મહિના પહેલા તેના પડોશમાં રહેતા રમેશની દીકરી તુલસીના સ્કૂટર સાથે અકસ્માતે અથડાઈ હતી. આ વાતની રમેશ તથા તેના પરિવારે દાજ રાખી હતી. ગઈકાલે સાંજના સમયે આરોપી રમેશ તેની પત્ની દયા અને પુત્રી તુલસી કુહાડી લઈને ફરિયાદી અજયના ઘરે આવ્યા હતા અને બાઈક અથડાવવાની બાબતને લઈને ઝઘડો કર્યો હતો. પતિ-પત્ની અને પુત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલએ દરમિયાન અજયની માતા ગંગાબેન રમેશને સમજાવા જતા ત્રણેય વ્યક્તિઓએ તેના પર પણ હુમલો કર્યો હતો અને કુહાડીના ઘા ગંગાબેન પર ઝીંક્યા હતા. તેમજ અજય પર પણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લોકોના ટોળા એકઠા થતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, આ અંગે અજય દીપક ચુડાસમાએ રમેશ તેની પત્ની દયા અને પુત્રી તુલસી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:59 pm

મુન્દ્રામાં આમ આદમી પાર્ટીનો ભાજપ સામે વિરોધ:સરકારની નીતિઓ વિરુદ્ધ પૂતળા દહન, નારેબાજી; પોલીસે કાર્યકરોને ડિટેન કર્યા

મુન્દ્રા નગરના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શાસક પક્ષ ભાજપની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા અને ભાજપના પ્રતીક પૂતળાનું દહન કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા AAP સભ્યોને ડિટેન કર્યા હતા, જેમને બાદમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, લોકસભા ઈન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખ ભારુભાઈ ગઢવી, મુંદરા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, મુંદરા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા, પ્રશાંત રાજગોર, ગજેન્દ્રસિંહ ઝાલા, અનુસૂચિત જાતિ પ્રમુખ જય માતંગ, હર્ષદદાન ગઢવી, ગજેન્દ્ર ચૌહાણ સહિતના કાર્યકરો જોડાયા હતા. AAP કાર્યકરોએ કિસાનોના નેતા પ્રવીણરામ રાજુ કરપડાની ધરપકડ, કડદા પ્રથા નાબૂદી અને ભચાઉના વાંઢિયા ગામ સહિત જિલ્લામાં કિસાનોને મૂંઝવતા વિવિધ પ્રશ્નોના વિરોધમાં ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળા દહન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:52 pm

ધારપુર CSC બાળકોને લાયન્સ-લિયો ક્લબની દિવાળી ભેટ:પાટણ ક્લબ દ્વારા મીઠાઈ, કપડાં, ફટાકડા અને પિત્ઝા પાર્ટીનું આયોજન

પાટણની લાયન્સ અને લીઓ ક્લબ દ્વારા ધારપુર સીએસસી (CSC) સેન્ટરના બાળકો માટે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ પરિવારોના બાળકો સુધી દિવાળીનો પ્રકાશ પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, પાટણના બગવાડા દરવાજા સ્થિત લાયન્સ હોલ ખાતે ધારપુર સીએસસી સેન્ટરના ૨૯ બાળકોને વિશેષ ભેટ આપવામાં આવી. બાળકોને મીઠાઈ, ફટાકડા અને શોરૂમમાંથી તેમની પસંદગીના નવા કપડાંની ખરીદી કરાવી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકો માટે પિત્ઝા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં પાટણની ઐતિહાસિક શ્રીમંત ફત્તેહસિંહરાવ લાઈબ્રેરી અને પાટણનો બેબાશેઠ પરિવાર પણ સહભાગી બન્યા હતા. આ સંસ્થાઓ દ્વારા પણ સીએસસી સેન્ટરના 29 બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અસત્ય પર સત્યના અને અંધકાર પર પ્રકાશના વિજયના આ પર્વને ગરીબના ઘર સુધી પણ પ્રકાશ પાથરવાનું લાયન્સ અને લીઓ ક્લબ દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:48 pm

દિવાળીની મજા પર પાણી ફરી વળશે:આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહેશે, 7 દિવસ વરસાદની આગાહી

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે 17મી ઓક્ટોબરથી 23મી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસના જણાવ્યા અનુસાર, આજે (17 ઓક્ટોબર) રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જોકે અમદાવાદમાં આજે વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે છુટો છવાયો વરસાદ પડશેહવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે, 17થી લઈને 23 ઓક્ટોબર સુધી રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. આ વરસાદની અસર મુખ્યત્વે નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં રહેશે. આ ઉપરાંત, 20, 21 અને 22 ઓક્ટોબરના રોજ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના રહેશે. આગામી સાત દિવસ માટે રાજ્યના મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદનું વાતાવરણ આંશિક વાદળછાયું રહેશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે.દાસના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની છે. હાલમાં ગુજરાત રાજ્ય પર પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફની છે. જ્યારે અમદાવાદનું વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:48 pm

SVPI એરપોર્ટ પર ચાંદીની ચોરી:16.58 લાખની કિંમતની 10 કિલો ચાંદી ચોરાઈ, કર્મચારીની સંડોવણી પણ સામે આવી

SVPI ડોમેસ્ટિક એરપોર્ટ પરથી 16.58 લાખની કિંમતનું 10 કિલો ચાંદી ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોરી કરનાર બીજું કોઈ નહીં, પરંતુ એરપોર્ટમાં કામ કરતો એક કર્મચારી જ હોવાનું સામે આવ્યું છે. દરેક પાર્સલમાં 10 કિલોની એક ચાંદીની પાટ હતીઆ ઘટનામાં સિક્વલ લોજિસ્ટિક્સ લિમિટેડ કંપની દ્વારા દિલ્હી મોકલવા માટે 250 કિલો ચાંદીને 25 પાર્સલમાં પેક કરવામાં આવ્યું હતું. આ ચાંદી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 818માં અમદાવાદથી દિલ્હી જઈ રહી હતી. દિલ્હી એરપોર્ટ પર જ્યારે પાર્સલ ચેક કરવામાં આવ્યા ત્યારે 25ની જગ્યાએ માત્ર 24 ચાંદીના પાર્સલ પહોંચ્યા હતા, જેના કારણે આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. દરેક પાર્સલમાં 10 કિલોની એક ચાંદીની પાટ હતી. સીસીટીવી ચેક કરતા પર્દાફાશ થયોદિલ્હી એરપોર્ટ તરફથી એર ઈન્ડિયાના સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશન્સ તરીકે ફરજ બજાવતા જ્હોન જોસેફ મુરીંગાતેરીને આ મામલે તપાસ કરવા માટે ઈ-મેઈલ આવ્યો હતો. શરૂઆતમાં, જ્હોને 'સ્કાયહાય કંપની'ને તપાસ કરવા જણાવ્યું, જેણે અહેવાલ આપ્યો કે, તેમણે 25 સિલ્વર બાર રિસીવ કર્યા હતા અને દિલ્હી માટે લોડ પણ કર્યા હતા. જોકે, બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ અહેવાલ અધૂરો હોવાનો પર્દાફાશ થયો. ટ્રોલીમાં રાખેલું એક નંગ સિલ્વર બારનું પાર્સલ ગાયબ હતુંજ્હોને દિલ્હી એરપોર્ટ અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા. અમદાવાદના સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારો ખુલાસો થયો. વહેલી પરોઢે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે, ટ્રોલીમાં રાખેલું એક નંગ સિલ્વર બારનું પાર્સલ ગાયબ હતું. ફૂટેજમાં સ્પષ્ટ થયું કે એઆઈ એરપોર્ટ સર્વિસિસ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા કર્મચારી કૌશિક નાથાલાલ રાવલે આ દસ કિલો ચાંદીની પાટની ચોરી કરી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ચોરીનો ઘટસ્ફોટ થતાં જ દિલ્હી એર ઈન્ડિયાના આદેશ મુજબ, જ્હોન મુરીંગાતેરીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કૌશિક રાવલ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કૌશિક રાવલને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ હવે કૌશિક સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરશે. જોકે, આ ચોરીની ઘટનાએ એરપોર્ટ પરના કાર્ગો ઓપરેશન્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:35 pm

'VIPની દારૂ મહેફિલ' પહેલાં રેડ, પોલીસ સાથે મારામારી: VIDEO:PSIએ દોડીને કાર ચેક કરતા બિયરનું બોક્સ મળ્યું; વગદાર પિતા અને ઝપાઝપી કરનાર પુત્ર સામે કોઈ કાર્યવાહી નહીં

સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસેના કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડીરાતે 'VIPની દારૂ મહેફિલ' શરૂ થાય તે પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતા માહોલ ગરમાયો હતો. પોલીસે રેડ કરી એક કારની તપાસ કરતા અંદરથી બિયર ભરેલું બોક્સ મળી આવ્યું હતું. આ સમયે કેટલાક લોકો સ્થળેથી ભાગી રહ્યાં હતાં, આ સમયે PSIએ દોડીને એક કારને રોકતાં અંદરથી યુવકે આવીને વીડિયો બંધ કરવાનું કહી PSI સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે કારમાં સવાર યુવકના પિતા અને બે મહિલાએ આવીને પોલીસ અને યુવકને છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબલનો વીડિયો પાણ સામે આવ્યો છે. યુવકના પિતાએ તો પોતાની લાગવગ લગાવી PSIને ફોન પર વાત કરવાનું કહી 'બચ્ચા હૈ સર..' કહીને યુવકને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસે માત્ર દારૂ આપવા આવેલા શખસ સામે જ કાર્યાવાહી કરી છે. જ્યારે ઝપાઝપી કરનાર યુવક અને તેના પિતા સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ મામલે ભાસ્કરે સવાલ કરતા PI દિવ્યરાજ ચૌહાણે જણાવ્યું કે, યુવકે રાત્રે માફી માગી લીધી છે અને તે વિદ્યાર્થી છે, જેથી કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે, જો કોઈ વિદ્યાર્થી હત્યા કરે અને માફી માગે તો પોલીસ જવા દેશે? આ કેસમાં પોલીસ કાર્યવાહી ન કરવા માગતી હોવાની ચર્ચા થઈ થઈ રહી છે. પોલીસે દારૂની મહેફીલ જામે તે પહેલાં જ રેડ કરીઆ ઘટનાની વિગત એવી છે કે, ગતરાત્રિના અલથાણ પોલીસને બાતમી મળી કે, કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે જન્મદિવસની પાર્ટીના બહાને યુવક-યુવતીઓની દારૂની મહેફીલ ચાલી રહી છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલા જ ઘણાખરા નબીરાઓ ભાગી છૂટ્યા હતા. રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરેલી સિલ્વર કલરની કાર (GJ 05 RA 4369)ની તપાસ કરવામાં આવી હતી. આ કારમાંથી થર્મોકોલના અનેક બોક્સ અને એક લાલ કલરના બોક્સમાં દારૂની ટીન મળી આવી હતી, જે સ્પષ્ટ સંકેત આપે છે કે દારૂનો જથ્થો આયોજનપૂર્વક સંતાડીને લવાયો હતો. યુવકે કારમાંથી ઉતરી PSI સાથે ઝપાઝપી કરીપોલીસે જ્યારે એક યુવકને લીલા રંગની કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે નબીરાએ હંગામો મચાવ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. નબીરાએ સૌપ્રથમ તો વીડિયો બનાવનાર વ્યક્તિને ધક્કો માર્યો, ત્યારબાદ તે સીધો પોલીસ સાથે જ મારામારી પર ઉતરી આવ્યો હતો. આ ઝપાઝપી એટલી ઉગ્ર બની હતી કે, કારમાં સવાર પરિવારની બે મહિલા પણ યુવક અને PSIની વચ્ચે પડી હતી. આ સમયે યુવકના પિતા સમીર શાહે પણ પોલીસકર્મીને યુવકને જવા દેવાનું કહી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાનું કહ્યું હતું. આ સમયે PSIએ વાત કરવાનું ટાળ્યું હતું. પરિવારે ‘બચ્ચા હૈ સર...’ કહી યુવકને જવા દેવાનું કહ્યુંવધુમાં જ્યારે પરિવારે પોલીસ સામે યુવકને માર મારવાનો આક્ષેપ કર્યો, ત્યારે PSIએ યુવકના પિતા સમીર શાહને અરીસો બતાવતા કહ્યું કે, તમારી સામે જ પોલીસને મારે છે, અને તમે કહો છો કે પોલીસ મારે છે! આ હાઈ-વોલ્ટેજ ડ્રામાનો સૌથી મહત્ત્વનો ભાગ ત્યારે આવ્યો, જ્યારે પરિવારે યુવકને બચાવવા માટે તેને 'બચ્ચા હૈ સર...' કહીને છાવરવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં PSIએ સ્પષ્ટપણે જણાવી દીધું કે, 18 વર્ષનો છે, નાનો નથી.​​​​​​​ પતિ-પુત્ર સામે અલથાણ પોલીસની કોઈ કાર્યવાહી નહિઆ સમગ્ર ઘટના બાદ અલથાણ પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જે નબીરાએ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી, તે જ નબીરા સામે માત્ર અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ઘટનાના લગભગ 12 કલાક થઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી પિતા-પુત્રએ દારૂ પીધો હતો કે નહીં? તે અંગેના બ્લડ સેમ્પલ લેવાયા નથી. જોકે, પ્રાથમિક સેમ્પલ લેવાની વાત સ્થળ પર PI દિવ્યરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેમ છતાં અમે બ્લડ સેમ્પલ લઈશું અને આગળની કાર્યવાહી કરશું. આ સાથે જ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, યુવક પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યો છે અને મારવાનો પ્રયાસ સતત કરી રહ્યો છે, તેમ છતાં પોલીસે નબીરા વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી. યુવક વિદ્યાર્થી હોવાથી કાર્યવાહી ન કરીઃ PIભાસ્કર દ્વારા યુવક સામે કેમ કાર્યવાહી ન કરાઈ તે મામેલે સવાલ કરતા અલથાણ પોલીસ સ્ટેશનના PI દિવ્યરાજ ચૌહાણે જણાવ્યું કે, યુવકે રાત્રે માફી માગી લીધી છે અને તે વિદ્યાર્થી છે, જેથી અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરાઈ નથી. બીજી બાજુ, પ્રોહિબિશનનો કેસ કારમાં બિયરની ટીન લઈને આવેલા વ્યક્તિ વજ્ર શાહ ઉપર કરવામાં આવ્યો છે. પોતાને માથાભારે અને પોતાની ઓળખ બતાવનાર સમીર શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી અત્યાર સુધી પોલીસ દ્વારા પણ કરવામાં આવી નથી. આ સાથે રેસ્ટોરન્ટમાં જે પાર્ટી ચાલી રહી હતી, તે સમીર શાહના જન્મદિવસને લઈ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો બીજી તરફ એ પણ ચર્ચા છે થઈ રહી છે કે, રહી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. દારૂ લઈને રેસ્ટોરન્ટની બહાર આવેલા વ્રજ શાહ દારૂની ડિલિવરી કરવા માટે આવ્યો હતો. વ્રજ શાહ અગાઉ મોકટેલ ફૂડ ટ્રક ચલાવતો હતો, પરંતુ તે બંધ કરીને હાલ દારૂની હેરાફેરીની શરૂઆત કરી હોવાનું અલથાણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોણ છે સમીર શાહ?આ સમગ્ર વિવાદ વચ્ચે પોતાના દીકરાને બચાવવા માટે સમીર શાહ મેદાને આવ્યા હતા. એક બાજુ, પોલીસ સાથે તેમના દીકરા મારામારી કરી રહ્યા હતા અને ધક્કો મારી રહ્યા હતા. આટલી હદે બગડેલા છોકરાને બચાવવા માટે પિતા વારંવાર કોઈને ફોન કરીને પોલીસ પાસે ભલામણ કરાવવા માંગતા હતા, પરંતુ PSIએ તેમને ઝાટકી કાઢ્યા હતા. સમીર શાહ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અનેક વગદાર લોકો સાથે સંપર્કમાં છે. એટલું જ નહીં, લાઈનિંગનું પણ કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અનેક પોલીસ અધિકારીઓના પણ સંપર્કમાં છે અને પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:27 pm

'તું મારી સામે કેમ જુએ છે?' કહેતા ખૂની હુમલો:ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા, પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે 'તું મારી સામે કેમ જુએ છે?' જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સુરત મ્યુ. કોર્પોરેશન આવાસમાં રહેતા એક યુવક અને તેના મિત્ર પર 4 જેટલા નામજોગ અને અન્ય અજાણ્યા શખસોના ટોળાએ ઢીક્કામુક્કીનો ઢોરમાર મારી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હુમલાખોરોએ ભોગ બનનાર યુવકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભેસ્તાન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થ નગર ખાતે આવેલ સુરત મ્યુ. કોર્પોરેશન આવાસમાં રહેતા આકાશ પ્રધાને આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 16/10/2025ના રોજ રાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં આકાશ અને તેનો મિત્ર નિરાકાર, ભેસ્તાન વિસ્તારમાં આવેલા છલિયા ચાર રસ્તા પાસે બેઠા હતા. આ દરમિયાન ત્યાં નરેશ ભગવાન પાણીગ્રાહી (રહે. સિધ્ધાર્થ નગર, ભેસ્તાન) અને સુશાંત અભિમન્યુ ગૌડ (રહે. ગંગોત્રીનગર સોસાયટી, પાંડેસરા) તેમની પાસે આવ્યા હતા. 'તું કેમ જોવે છે?' કહી ઝઘડો થયો હતોપ્રાથમિક દૃષ્ટિએ નજીવી લાગતી બાબતને મુદ્દો બનાવી, બંને આરોપીઓએ આકાશ પ્રધાન સાથે 'તું મારી સામે કેમ જોવે છે?' તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં સ્થિતિ વધુ બગડી હતી અને નરેશ પાણીગ્રાહી તથા સુશાંત ગૌડે તેમના અન્ય મિત્રો રીતુ વિજય કોલાઇ (રહે. ભેસ્તાન આવાસ, ડીંડોલી) અને કાના જયરામ સ્વાઈ (રહે. ભૈરવનગર સોસાયટી, ભેસ્તાન) તેમજ અન્ય અજાણ્યા ઇસમોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા. ત્યારબાદ આ તમામ શખસોએ ભેગા મળી આકાશ અને નિરાકારને એલફેલ ગાળો આપી હતી અને ઢીક્કામુક્કીનો ઢોર માર માર્યો હતો. હુમલાખોરો આટલેથી અટક્યા નહોતા. તેઓએ બંને યુવકો પર ચપ્પુના ઘા પણ માર્યા હતા, જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જાનથી મારી નાખવાની ધમકી અને પોલીસ કાર્યવાહીહુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા બાદ આરોપીઓએ બંને યુવકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા આકાશ અને નિરાકારને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટના અંગે આકાશ પ્રધાને ઉપરોક્ત 4 નામજોગ આરોપીઓ અને અન્ય અજાણ્યા શખસો વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી પાડવા અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:27 pm

દિવાળીનાં તહેવારોમાં પ્રદ્યુમન પાર્કમાં ખાસ વ્યવસ્થા:રાજકોટ ઝૂમાં સફેદ વાઘ, હિમાલયનાં રીછ, વાંદરાઓ, દેશ-વિદેશનાં પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર, સોમવારે પણ પ્રવાસીઓ આવી શકશે

રાજકોટ મહાપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ ઉત્તમ સ્થળ બની ચૂક્યું છે. જેમાં જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દિવાળીના તહેવારો શરૂ થતાં અહીં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલમાં સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બન્યું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. જેમાં ચાર-પાંચ દિવસની રજા હોવાને કારણે લોકો હરવા-ફરવા માટે થનગની રહ્યા છે. શહેરીજનોના હોટફેવરિટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગી મેદની ઉમટી પડવાનો અંદાજ છે. ગાર્ડન શાખા સુપ્રીન્ટેન્ડન્ટ ડો.આર. કે. હીરપરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં દિવાળી પર્વ નિમિતે પ્રદ્યુમન પાર્કમાં મુલાકાતીઓનો ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે આ વર્ષે પૂર્વ આયોજનના ભાગ રૂપે પ્રદ્યુમન પાર્ક ખાતે ટીકીટ બારીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુલાકાતીઓને અગવડ ન પડે તે માટે પુરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. તેમજ લોકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે આહી સિક્યુરીટી ગાર્ડનો પણ વધારો કરવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીથી લાભપાંચમ સુધીમાં અંદાજિત 60 હજાર મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર સોમવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળી તહેવારો દરમિયાન સોમવાર આવતો હોવાથી આ સોમવારે ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. રાજકોટનાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે અનેક પ્રાણીઓ અને દેશી તેમજ વિદેશી પક્ષીઓ લોકોને જોવા મળે છે. જેમાં ખાસ સિંહ અને સફેદ વાઘ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. ત્યારે લોકોને પ્રાણીઓથી તેમજ પ્રાણીઓને લોકો દ્વારા કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જુદી જુદી પ્રજાતિના વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયન સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઈગર, દીપડા, હિમાલયના રીછ, સ્લોથ રીછ, જળ બિલાડી, 4 પ્રકારના શ્વાનકુળના પ્રાણીઓ, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારના મગર, જુદી જુદી પ્રજાતિના હરણ તેમજ વિવિધ પ્રજાતિના પક્ષીઓ રાખવામાં આવ્યા છે. અહીં પ્રાણી-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. અને દરેક ઋતુ માટે પ્રાણી તેમજ પક્ષીઓને અનુકૂળ હોય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:23 pm

કનુ દેસાઈને ફરી કેબિનેટ મંત્રી પદ મળ્યું:વાપીમાં સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યું છે. આ જાહેરાત બાદ વાપીમાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. વાપીના બજારમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે કનુભાઈ દેસાઈને ફરી મંત્રી પદ મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને વિજય ઉત્સવ મનાવ્યો હતો.કનુભાઈ દેસાઈએ અગાઉના 5 વર્ષ દરમિયાન રાજ્યના નાણાં મંત્રી તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, તેમણે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી.તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં અનેક વિકાસ કાર્યો થયા હતા, જેમાં નાણાં મંત્રી તરીકે તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:10 pm

કંથકોટ સિમમાં ભીષણ આગ: જીવજંતુ, પક્ષીઓ ભસ્મીભૂત:ભચાઉ ફાયર વિભાગ 5 કલાકથી આગ બુઝાવવા પ્રયાસરત

કચ્છના ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના સિમ વિસ્તારમાં આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ બપોરના 3 વાગ્યા સુધી યથાવત રહી હતી. આગની શરૂઆત ગામના પટેલની પડતર વાડીમાંથી થઈ હતી. જોતજોતામાં આગ આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કુદરતી ઘાસચારો અને વૃક્ષો સળગી ઉઠ્યા હતા. સ્થાનિક કોંગી અગ્રણી બળુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આગ લાગવાની જાણ થતાં જ ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમના પ્રવીણ દાફડા સહિતના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાયટર વડે આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી રહ્યા છે. આગ વધુ આગળ ન પ્રસરે તે માટે ગ્રામજનો દ્વારા જેસીબી મશીન વડે ઘાસચારાને દૂર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 કલાકથી વધુ સમયથી આગ યથાવત જોવા મળી રહી છે. આ ભીષણ આગના કારણે અસંખ્ય જીવજંતુઓ અને વૃક્ષો પરના પક્ષીઓના બચ્ચા મરણ પામ્યા છે. આગ બુઝાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:08 pm

સુરેન્દ્રનગરમાં 108 સેવાના કાફલામાં બે નવી એમ્બ્યુલન્સ ઉમેરાઈ:કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે અત્યાધુનિક એમ્બ્યુલન્સને જાહેર સેવામાં સમર્પિત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં તાત્કાલિક તબીબી સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે બે અત્યાધુનિક નવી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. કલેક્ટર કચેરીના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં, કલેક્ટરે લીલી ઝંડી આપીને આ એમ્બ્યુલન્સને જાહેર સેવામાં સમર્પિત કરી છે. આ નવી એમ્બ્યુલન્સના સમાવેશથી જિલ્લાના, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, 108 સેવાની પહોંચ અને પ્રતિભાવની ઝડપમાં નોંધપાત્ર સુધારો થશે. ઈમરજન્સીના કિસ્સાઓમાં સમયસર તબીબી સહાય પૂરી પાડીને આ એમ્બ્યુલન્સ અનેક મૂલ્યવાન જીવન બચાવવામાં મદદરૂપ બનશે. આ એમ્બ્યુલન્સમાં તમામ જરૂરી અદ્યતન તબીબી ઉપકરણો, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને અન્ય જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ છે. તેમાં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) સહિતનો તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ અને અનુભવી ડ્રાઇવરની ટીમ તૈનાત રહેશે, જે સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય માળખાકીય સુવિધાને વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા ઇમરજન્સીના સમયમાં લોકો માટે સંજીવની સમાન છે. આ સેવા 24x7 વિનામૂલ્યે કાર્યરત રહે છે. તે માર્ગ અકસ્માત, હૃદયરોગનો હુમલો, પ્રસૂતિની ઇમરજન્સી, ગંભીર બીમારી કે અન્ય કોઈપણ જીવનને જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે. 108 નંબર પર કોલ કરતા જ એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે. તે દર્દીને પ્રાથમિક સારવાર આપીને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે પહોંચાડે છે. રાજ્ય સરકારે વિકસાવેલી આ ઇમરજન્સી સિસ્ટમ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સંકલનથી કાર્ય કરે છે અને અત્યાર સુધીમાં લાખો લોકોના જીવન બચાવ્યા છે. નવી એમ્બ્યુલન્સના સમાવેશથી જિલ્લામાં 108 સેવાની ક્ષમતામાં વધારો થયો છે, જે રાજ્ય સરકારની નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ લોકાર્પણ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ તેમજ 108 એમ્બ્યુલન્સના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 3:04 pm

દિવાળી તહેવારોને લઇ આરોગ્ય વિભાગ એલર્ટ:બનાસકાંઠામાં 43 એમ્બ્યુલન્સ, 180 કર્મચારીઓ તૈનાત રહેશે

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી કોલમાં 41 થી 47 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની 43 ટીમો અને 180 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. સામાન્ય રીતે, બનાસકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સને દૈનિક સરેરાશ 102 કોલ મળતા હોય છે. જોકે, તહેવારોના દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળીના દિવસે અંદાજે 97 કોલ, 22 ઓક્ટોબરે બેસતા વર્ષના દિવસે 144 કોલ અને 23 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે 150 કોલ મળવાનો અંદાજ છે. ગત વર્ષના આંકડાઓ પણ તહેવારોમાં કોલ વધારાની પુષ્ટિ કરે છે. ગત વર્ષે તહેવારોના ત્રણ દિવસમાં 370 થી વધુ કોલ આવ્યા હતા, જેમાં દિવાળીના દિવસે 99, નવા વર્ષના દિવસે 131 અને ભાઈબીજના દિવસે 143 કોલનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દિવાળીના રજાના માહોલ વચ્ચે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સ્ટાફની જવાબદારી વધી જાય છે. EMRI GREEN HEALTH SERVICES 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ આ સમયગાળા દરમિયાન વધુ એલર્ટ રહે છે. તહેવારો દરમિયાન અકસ્માત, ફટાકડા ફૂટવાથી શ્વાસની તકલીફ, મીઠાઈ અને ખાણી-પીણીને કારણે પેટના દુખાવાની ફરિયાદો, દાઝી જવાના કેસ, તેમજ ડાયાબિટીસ અને બીપી સંબંધિત ઇમરજન્સીમાં વધારો થતો હોય છે. લોકો વધુ ફરવા નીકળતા હોવાથી અકસ્માતના કિસ્સા પણ વધે છે.આ સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે 108 ની ટીમ સતત સ્ટેન્ડબાય રહેશે અને સેવા પૂરી પાડવા સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:57 pm

દાંડી દરિયા કિનારે બે લોકો ડૂબતા બચ્યા:હોમગાર્ડ જવાનોએ જીવના જોખમે દંપતીને બચાવ્યું

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી દરિયા કિનારે ડૂબી રહેલા બે લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના અગિયારસની ભરતી સમયે બની હતી. મળતી માહિતી મુજબ, અગિયારસના દિવસે કેટલાક લોકો દાંડીના દરિયા કિનારે ન્હાવા પડ્યા હતા. અચાનક આવેલી ભરતીના કારણે એક દંપતી દરિયાના પ્રવાહમાં તણાઈ ગયું હતું. દરિયા કિનારે ફરજ પર હાજર હોમગાર્ડ જવાનોએ આ દંપતીને જોયું અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. હોમગાર્ડ જવાનોએ પોતાના જીવના જોખમે સાવધાનીપૂર્વક દંપતીને ડૂબતા બચાવ્યા હતા. હોમગાર્ડ જવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે બે લોકોનો જીવ બચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:55 pm

ચોટીલા ડુંગર ટ્રસ્ટે દિવાળી માટે આરતીનો સમય જાહેર કર્યો:વેકેશનમાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાને રાખી નિર્ણય

ચોટીલા ડુંગર ટ્રસ્ટે દિવાળી 2025 દરમિયાન દર્શન અને આરતીના સમયપત્રકની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલામાં દિવાળી વેકેશન નિમિત્તે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, દિવાળી, બેસતા વર્ષ અને લાભ પાંચમ જેવા તહેવારો નિમિત્તે 22 ઓક્ટોબર, 2025 થી 26 ઓક્ટોબર, 2025 સુધી પગથિયાંનો દ્વાર વહેલી સવારે 3:30 વાગ્યે ખુલશે. આ દિવસો દરમિયાન સવારની આરતીનો સમય 4:00 વાગ્યાનો રહેશે. ત્યારબાદ, કારતક સુદ 6 (27 ઓક્ટોબર, 2025) થી કારતક સુદ 14 (4 નવેમ્બર, 2025) સુધી પગથિયાંનો દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારની આરતી 5:00 વાગ્યે થશે. કારતકી પૂનમના દિવસે પગથિયાંનો દ્વાર વહેલી સવારે 1:30 વાગ્યે ખુલશે અને સવારની આરતી 2:00 વાગ્યે થશે. મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદનો સમય રાબેતા મુજબ બપોરે 11:00 થી 2:00 વાગ્યાનો રહેશે, જ્યારે સંધ્યા આરતી સૂર્યાસ્ત સમયે થશે. આ માહિતી ચોટીલા ડુંગર ટ્રસ્ટના મનસુખગિરિ ગોસાઈએ આપી હતી. ચોટીલા ચામુંડા માતાજીની જગ્યાનો ગૌરવવંતો ઇતિહાસ છે. પૌરાણિક કથા અનુસાર, ચંડ અને મુંડ નામના અસુરોના અત્યાચાર વધતા દેવોએ મા આદ્યશક્તિની આરાધના કરી હતી. માતા કાળીએ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી બંને રાક્ષસોનો સંહાર કર્યો, જેના કારણે તેઓ ચામુંડા કહેવાયા. ત્યારથી આ ડુંગર મા ચામુંડાના નિવાસ સ્થાન અને કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખાય છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:54 pm

નરેન્દ્ર મોદીએ દર્શના વાઘેલાને કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતાર્યાં હતા:કોઇની ઓડિયો ક્લીપ લીક થઇ તો કોઇનો સાંસદ સાથે જાહેરમાં ઝઘડો, ગુજરાતના નવા મંત્રીઓના જાણ્યા-અજાણ્યા રસપ્રદ કિસ્સા

આજે ગુજરાતના નવા મંત્રીઓએ શપથ લીધા છે. આ મંત્રીઓમાં કોઇને રિપીટ કરાયા છે તો કોઇ નવા ચહેરાને તક અપાઇ છે. આ એવા ચહેરાઓ છે જેમની ઓળખ તેમના વર્તમાન પદ સુધી જ સિમિત નથી, પડદા પાછળ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ છુપાયેલા છે. નવા મંત્રીઓના જાણ્યા-અજાણ્યા કિસ્સાઓ વાંચો. હર્ષ સંઘવીએ NCP માટે કાર્યક્રમ યોજ્યો હતોઆજે શપથ લઇને ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ બનનારા હર્ષ સંઘવીએ ભૂતકાળમાં એક વખત NCP માટે કાર્યક્રમ યોજ્યો હતો. NCP નેતા પ્રફૂલ્લ પટેલ જ્યારે યુપીએ-1 માં ઉડ્ડયન મંત્રી હતા ત્યારે સુરતમાં તેમનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેના આયોજનની જવાબદારી હર્ષ સંઘવીએ ઉપાડી લીધી હતી. સુરતના સ્થાનિક અગ્રણી નારણભાઈના સંપર્કમાં તેઓ હતા અને તેના કારણે NCP માટે કાર્યક્રમો કર્યા હતા. મૂળ જૂના ડીસાના જૈન પરિવારમાં જન્મેલા હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ હીરાના વ્યવસાય માટે સુરત સ્થાયી થયા હતા. હર્ષ સંઘવીના માતા બીમાર હતા અને મુંબઇમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેના કારણે તેના પિતા પણ મુંબઇ રહેતા હતા. જેથી હર્ષ સંઘવીએ પિતાના કારખાનામાં જવાનું શરૂ કર્યું હતું. અભ્યાસ છોડ્યા બાદ જ હર્ષ સંઘવીને રાજકારણમાં આવવાની ઈચ્છા હતી, જ્યાં તેમનો પરિચય RSSના સ્વયંસેવક જયદીપ ત્રિવેદી સાથે થયો હતો. પાટીદાર આંદોલન દરમિયાન ઋષિકેશ પટેલની ઓફિસ પર હુમલો થયો હતોપાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં એક રેલી યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ થઇ હતી. ઋષિકેશ પટેલે એ સમયે સંગઠિત ગુનાખોરીનો આરોપ લગાવ્યો હતો અને ફરિયાદ પણ થઇ હતી. આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના લોકોને આરોપી બનાવાયા હતા. ભાજપ સરકાર સામે અર્જુન મોઢવાડિયાનું ઉપવાસ આંદોલનવર્ષ 2005ની વાત છે. એ સમયે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા. કોંગ્રેસના નેતા મુળુ મોઢવાડિયા તેમના ખાસ ટેકેદાર ગણાતા હતા. પોરબંદરમાં 16 નવેમ્બર, 2005ના રોજ મુળુ મોઢવાડિયાના ઘરની બહાર ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં અર્જુન મોઢવાડિયાએ ઉપવાસ આંદોલન કર્યું હતું. મોઢવાડિયાની માંગ હતી કે આ કેસમાં યોગ્ય અને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને સજા થાય. એ સમયે બાબુ બોખીરિયા ગુજરાત સરકારમાં મંત્રી હતા. મોઢવાડિયાએ તેમના રાજીનામાની માંગ કરી હતી. જીતુ વાઘાણીએ થાળી વગાડી તીડ ભગાડ્યાજીતુ વાઘાણી જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ હતા ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ થયું હતું. પાકિસ્તાન તરફથી આવેલાં લાખો તીડના ઝૂંડે એરંડા, જીરૂ, કપાસ, ઘઉં, રાયડાના પાકને બરબાદ કરી દીધો હતો. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જીતુ વાઘાણીએ થરાદ તાલુકાના તખુવા, ભરડાસર અને રાણેશરી ગામની મુલાકાત લીધી હતી અને ખેતરમાં જઇ થાળી વગાડી તીડને ભગાડ્યા હતા. વાઘાણીનો એ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. કૌશિક વેકરિયા અને પાટીલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતીકૌશિક વેકરિયા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ 2022માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. થોડા સમય પહેલાં સી.આર.પાટીલ અને કૌશિક વેકરિયાની એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી. જેમાં પાટીલે વેકરિયાને ઠપકો આપ્યો હતો. ઓડિયો ક્લીપમાં સંવાદ આ પ્રકારનો હતો. પાટીલઃ કૌશિક, મેં તને ફોન કર્યો ને પછી વ્હોટ્સએપ ફોન પણ કર્યો તે ફોન જ ના ઉપાડ્યો.કૌશિક વેકરિયાઃ આ લીલીયાનું શોર્ટ આઉટ કરાવી દીધું છે. તમે જે વ્હોટ્સએપ કર્યું હતું તે માટે અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે. આંદોલન બંધ કરી દેવામાં આવ્યું છે.પાટીલઃ મારે તને કહેવું છે કે તે શું કર્યું છે?કૌશિક વેકરિયાઃ સોરી સાહેબ, તમે જે કહ્યું હતું પછી તમે જે વ્હોટ્સએપ કર્યું પછી મેં કહી દીધું છે.પાટીલઃ આખો કિલ્લો એક સાથે નથી પડતો, ધીમે ધીમે પડે છે.કૌશિક વેકરિયાઃ હા, સર.પાટીલઃ તમારા વિસ્તારમાં એક સમયે તમારી છાપ સારી હતી, હવે ધીરે ધીરે બગડતી જાય છે.કૌશિક વેકરિયાઃ ના, સર.પાટીલઃ ના, હું તને કહું છું ને મારો કોઇ મતલબ નથી. તને જે મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તને ડેમેજ થઇ રહ્યું છે. મોદીએ વેકરિયાને પૂછ્યું- કેમ છે અમરેલી?આ સિવાય કૌશિક વેકરિયાનો એક બીજો કિસ્સો પણ એ છે કે થોડા સમય પહેલાં વડાપ્રધાન મોદી જ્યારે ગાંધીનગર આવ્યા ત્યારે તેમણે કૌશિક વેકરિયા સાથે ખાસ મુલાકાત કરી હતી. મોદીએ વેકરિયાને પૂછ્યું હતું કે કેમ છે અમરેલી. અનેક લોકો વડાપ્રધાનને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે મોદીએ વેકરિયાને બોલાવ્યા હતા. તેમણે લાગણીપૂર્વક અમરેલી જિલ્લાના સમાચાર અને હાલચાલ પૂછ્યા હતા. રિવાબા અને સાંસદ પૂનમ માડમનો જાહેરમાં ઝઘડોરિવાબા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમની હાજરીમાં રિવાબા અને મેયર વચ્ચે ચકમક ઝરી હતી. રિવાબાએ સાંસદ પૂનમબેનને પણ જાહેરમાં સંભળાવી દીધું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ શહેરના લાખોટા તળાવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના જ મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય ભાજપના અગ્રણીઓ અને નેતાઓ હાજર હતા ત્યારે કોઈક વાતે બાજી બગડતાં ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમને બધાની સામે ખરી ખોટી સંભળાવી દીધી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પહેલાં મેયરને ખખડાવતાં કહ્યું હતું કે ઓકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતાં રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે સળગાવવાવાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય છે. અમૃતિયાએ મોરબી બ્રિજ દુર્ઘટનામાં લોકોના જીવ બચાવ્યા હતામોરબી પુલ દુર્ઘટના વખતે કાંતિ અમૃતિયા બચાવ કાર્ય કરતા હોય તેવા ઘણા વીડિયો વાઇરલ થયા હતા. આ બચાવ કાર્યનો ફાયદો કાંતિ અમૃતિયાને 2022ની ચૂંટણીમાં ટિકિટ સ્વરૂપે મળ્યો. તેમને ટિકિટ મળી અને ધારાસભ્ય બનીને હવે મંત્રી બન્યા છે. એ સમયે બચાવ કાર્ય દરમિયાન વડાપ્રધાન મોદીએ કાંતિ અમૃતિયાને ફોન કર્યો હતો. PM મોદી તેમને કાંતિલાલ કહીને બોલાવે છે. દુર્ઘટના સમયે વાત કરતા કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, પીએમએ મને પૂછ્યું કે પોઝિશન શું છે? શું જરૂરિયાત છે? મેં કહ્યું અત્યારે અમે તત્કાલિક પહોંચી ગયા છીએ. માણસોને બચાવવાનું કામ ચાલે છે. અહીથી નગરપાલિકાની વસ્તુ આવી ગઈ છે. બોટ, માણસ ઉપરાંત જરૂરિયાતનાં સાધનોની તમે વ્યવસ્થા કરો. દોઢેક મિનિટ વાત થઈ હતી. કલાકમાં તો આખા જિલ્લામાંથી નોખાં નોખાં સાધનો એટલાં આવી ગયા કે એની વાત જવા દો. પી.સી.બરંડાએ નરેન્દ્ર મોદીની સિક્યોરિટી સંભાળી હતીપોલીસ અધિકારીની નોકરીમાંથી VRS લઇને રાજકારણમાં આવનારા પી.સી.બરંડા DySP હતા ત્યારે નરેન્દ્ર મોદીની સીએમ સિક્યોરિટીમાં તેમની નિમણુક થઇ હતી. તેમના પર નરેન્દ્ર મોદીની સિક્યોરિટીની જવાબદારી હતી. આ પછી તેમને હાલના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં તેમણે પક્ષના કાર્યકરોએ જ હરાવ્યાનો આરોપ લગાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ દર્શના વાઘેલાને કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતાર્યા હતાવર્ષ 2005માં ગુજરાતની ગાદી પર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા. તેમને એક વિચાર આવ્યો અને દર્શના વાઘેલાનું જીવન જ પલટાઇ ગયું. 2005માં નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહિલાઓને ચૂંટણી લડાવવી છે અને દુધેશ્વર વોર્ડમાં તેમણે દર્શના વાઘેલાને ચૂંટણી જંગમાં ઉતાર્યા. તે સમયે જ તેમણે કદાચ ત્યારે જ નક્કી કરી લીધું હશે કે, આજના કોર્પોરેટર આવતીકાલના ધારાસભ્ય છે. આ ચૂંટણીમાં જીત મેળવી અને AMCમાં હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પણ બન્યા. ત્યાર બાદ દુધેશ્વર વોર્ડની સીટ અનામતમાંથી જનરલ થઈ ગઈ. પરંતુ નરેન્દ્ર મોદીએ તેમને જનરલ સીટ પરથી જ ચૂંટણી લડાવી અને ફરી ચૂંટાઈ આવ્યા હતા. 22 વર્ષની ઉંમરમાં જ આ દર્શના વાઘેલાએ પિતા ગુમાવ્યા હતા. પિતાના અવસાનથી ભાંગી તો પડ્યા પણ હિંમત રાખીને આગળ વધ્યા. ત્રિકમ છાંગા મોર્નિંગ વોકમાં નીકળ્યાને ગટરની ફરિયાદ મળીઅંજાર તાલુકાના રતનાલ ગામની ભાગોળે રહેતા નારણ ગોપાલ આહીર શાકભાજીની લારી ચલાવે છે. છૂટક શાકનું વેચાણ કરી 7 સભ્યોના પરિવારનું ગુજરાન કરતા નારણભાઇનું ઘર ગામથી અલગ હતું. ઘરે ગટર વ્યવસ્થાના અભાવે પરિવારને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.ગટર લાઇન માટે રજૂઆત કરેલી પણ એક ઘર માટે શક્ય નહોતું. ત્રિકમ છાંગા વર્ષ 2015માં એક વાર મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા ત્યારે નારણ આહીરે તેમને વાત કરી હતી કે શક્ય હોય તો ગટર લાઇનની સુવિધા કરાવી આપો. આ સમયે ત્રિકમ છાંગાએ કામ થઇ જશે તેવી ખાતરી આપી હતી. જેના પછી ત્રિકમ છાંગાએ જિલ્લા-તાલુકા પંચાયતમાં વાત કરીને ગટર લાઇન નખાવી આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:50 pm

સુનિલ પાન ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ:ગુજરાતમાં 96થી વધુ ઘરફોડ-લૂંટ કરી, 10 વખત પાસામાં ધકેલાયા; મીડિયા આવતા આરોપીએ તમાશો શરુ કર્યો

વડોદરા શહેરમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લૂંટ જેવા મિલ્કત સંબંધિત ગુનાઓ આચરી નાગરિકોમાં દેહશત ફેલાવતી 'સુનિલ પાન ગેંગ'ની સંગઠિત ટોળકી વિરુદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-2015 (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ મીડિયા સમક્ષ તમાશો કર્યો હતો. 'મારો કોઈ ગુનો નથી. તમારું કામ તો પૂરું થઈ જશે''ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે' તેમ આરોપી ભીલસિંગ ટાંકને પોલીસે મીડિયા સમક્ષ રજૂ કર્યો ત્યારે શેખી મારતા જણાવ્યું હતું કે, મારું તો કઈ છે નહીં, સાહેબ, આ તો તમે ખોટું કરો છો, હું બાળ બચ્ચાવાળો માણસ છું. સાહેબે બોલાવ્યો એટલે હું સામેથી આવ્યો છું અને તમે આવું કરો છો. મારો કોઈ ગુનો નથી. તમારું કામ તો પૂરું થઈ જશે, અમારા બાળકો રખડી જશે. કોઈ પણ કલમ નાંખી દો છો, આ તો ખોટુ છે. વડોદરા શહેર અને તેના આસપાસના વિસ્તારો તેમજ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આ ટોળકી દ્વારા ઘણા વર્ષોથી દિવસ-રાત્રીના સમયે ઘરફોડ ચોરી, સાદી ચોરી, લૂંટ અને વાહનચોરી જેવા ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે. આ ગુનાઓને કારણે નાગરિકોને આર્થિક નુકસાન તો થયું જ છે પરંતુ, તેમનામાં દહેશત પણ ફેલાઈ છે. કેટલાક ગુનાઓ ડિટેક્ટ થયા છે, જ્યારે કેટલાક અનડિટેક્ટ રહ્યા છે. ટોળકીના સભ્યો એકબીજા સાથે લાંબા સમયથી સંપર્કમાં છેવડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગુનાઓ મોટાભાગે સંગઠિત ટોળકીઓ દ્વારા ભેગા મળીને આચરવામાં આવે છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી અને તેના સાથીઓએ પોલીસ કર્મચારીઓ પર મારક હથિયારોથી હુમલા સહિત કુલ 96 જેટલા ગંભીર શારીરિક અને મિલ્કત સંબંધી ગુનાઓ આચર્યા છે. આ ટોળકીના સભ્યો એકબીજા સાથે લાંબા સમયથી સંપર્કમાં છે અને તેઓ ગુનાહિત કાવતરું રચીને કાર્ય કરે છે. થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ટોળકીના 3 સભ્યો પ્રેમસિંગ, કુલદીપસિંગ અને અમરસિંગે રાત્રીના સમયે તલવાર બતાવીને એક વ્યક્તિના ઘરમાંથી લાખો રૂપિયાની લૂંટ કરી હતી. આ ઘટના પછી ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકી વિરુદ્ધ GUJCTOC હેઠળ કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય. ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી અને તપાસ હાથ ધરીવડોદરા ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડાયેલા આવા ગુનાઓના આરોપીઓની યાદી તૈયાર કરી હતી અને તેમના ગુનાહિત રેકોર્ડની તપાસ કરી હતી. જોકે, આ ટોળકીએ અટકાયતી પગલાં છતાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. જેને અંકુશમાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી અને સમા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.ડી. તુવરે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ ACP એચ. ડિવિઝનના ACP જી.બી. બાંભણિયા દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીઓની વિગતો આ કેસમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમના નામ અને સરનામા નીચે મુજબ છે: આરોપીઓ વચ્ચેના સંબંધો ટોળકીના સભ્યો વચ્ચે કૌટુંબિક અને સગા-સંબંધી જોડાણ છે, જે તેમની સંગઠિત પ્રવૃત્તિઓને મજબૂત બનાવે છે:

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:49 pm

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને મંત્રી પદ મળ્યું:નિવાસસ્થાને ફટાકડા ફૂટ્યા, પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરાઈ

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના નામની જાહેરાત થતા જ પોરબંદરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મંત્રી પદ માટે શપથ લેવા ફોન આવ્યા બાદ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત બન્યો હતો. અર્જુન મોઢવાડીયાના નિવાસસ્થાને તેમના પરિવારજનો અને સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, પેંડા વહેંચીને મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે ટીવી પર શપથવિધિ સમારોહ નિહાળ્યો અને ત્યારબાદ ફટાકડા ફોડી, ઢોલ-નગારા વગાડીને ઉજવણી કરી હતી. અર્જુન મોઢવાડીયા 28 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. વર્ષ 2024માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં પોરબંદર વિધાનસભા બેઠક પરથી એક લાખથી વધુ મતોની સરસાઈથી વિજયી બન્યા હતા. આ વિજય બાદ આજે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાને કેન્દ્રીય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. હવે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનો પણ ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ થતા પોરબંદરમાં 'ડબલ એન્જિન' સરકારની સ્થિતિ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:21 pm

મારવાડી યુનિવર્સિટીએ દિવાળીએ 'સોશિયલ સોલ્જર્સ'નું સન્માન કર્યું:ફાયર ફાઇટર્સ, ટ્રાફિક બ્રિગેડ, હોસ્પિટલ સ્ટાફની સેવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી

મારવાડી યુનિવર્સિટીએ દિવાળી પર્વ નિમિત્તે સમાજની સુરક્ષા અને વ્યવસ્થા જાળવતા સોશિયલ સોલ્જર્સનું સન્માન કર્યું. આ પહેલ અંતર્ગત ફાયર ફાઇટર્સ, ટ્રાફિક બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફને મીઠાઈ, શુભેચ્છા કાર્ડ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા. યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું કે, જ્યારે મોટાભાગના લોકો પરિવાર સાથે તહેવાર ઉજવે છે, ત્યારે આ કર્મચારીઓ 24x7 ફરજ પર રહીને અન્યોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેમણે આ કર્મચારીઓને સમાજના સાચા સૈનિક ગણાવ્યા, જેઓ દેશના સૈનિકોની જેમ જ સમાજની સેવા માટે તત્પર રહે છે. આ કાર્યક્રમમાં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફે રાજકોટ શહેરના વિવિધ ફાયર સ્ટેશનો, ટ્રાફિક ચોકીઓ અને હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. તેમણે ફરજ પરના કર્મચારીઓને સન્માનિત કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મારવાડી યુનિવર્સિટીના કો-ફાઉન્ડર જીતુભાઈ ચંદારાણાએ વિદ્યાર્થીઓની આ માનવતાભરેલી પહેલને બિરદાવી હતી. તેમણે સમાજ પ્રત્યે આદર અને સેવા ભાવના વિકસાવવાના આ પ્રયાસની પ્રશંસા કરી. પ્રોવોસ્ટ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં માનવતા, આદર અને સામાજિક જવાબદારીનો ભાવ વિકસે તેવા પ્રયત્નો યુનિવર્સિટીના મૂલ્યોનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે તહેવારોની ઉજવણીમાં સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા પણ ઝળહળવી જોઈએ. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત બિહાર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યોના તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મારવાડી યુનિવર્સિટીની આ પહેલ સમાજમાં સેવા, આદર અને કૃતજ્ઞતાની સંસ્કૃતિ વિકસાવવાનો એક સુંદર પ્રયાસ છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:13 pm

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મંત્રી બન્યા:મોરબી ભાજપ કાર્યાલયે ઢોલ નગારા સાથે આતશબાજી કરી ઉજવણી

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાચારને પગલે મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ પરિવારે ઢોલ-નગારા વગાડી અને આતશબાજી કરીને તેમના મંત્રી પદને આવકાર્યું હતું. ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ કરાયો છે. આ પ્રસંગે મોરબીના રવાપર રોડ પર આવેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખા જારીયા, વર્તમાન મહામંત્રી ભાવેશ કંઝારીયા અને ભુપત જારીયાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરપાલિકાના માજી સભ્યો સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લગભગ અડધો કલાક સુધી આતિશબાજી કરવામાં આવી હતી અને ઢોલ-નગારા વગાડીને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી હતી. મોરબી ભાજપ પરિવારે કાંતિ અમૃતિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવા બદલ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના ભાજપ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં મોરબી શહેર, જિલ્લા અને રાજ્યમાં વિકાસના કાર્યોને વેગ મળશે. ખાસ કરીને કાંતિ અમૃતિયા દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિ પટેલ, ચંદુ હુંબલ, કેતન વિલપરા, આપ કુંભરવાડીયા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશ ચબાડ, બાબુભાઇ પરમાર, દીપક પોપટ, આસિફ ઘાંચી, નરેન્દ્ર પોપટ, નયનભાઇ કાવર, સુરેશભાઇ સીરોહિયા, ગિરિરાજસિંહ ઝાલા, વિક્રમ વાંક, કેયૂર પંડ્યા, નીરાજ ભટ્ટ, નલિન ભટ્ટ, રાહુલ હુંબલ, બ્રિજેશભાઇ કુંભરવાડીયા, મનુ સારેસા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:12 pm

નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોનો સમાવેશ:કાર્યકરોએ આંનદભેર ફટાકડા ફોડી, મોં મીઠા કરી વધામણાં કર્યા, BJP કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારના રાજ્યના નવા મંત્રીમંડળમાં ભાવનગર શહેરના તેમજ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવતા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી તેમજ ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘણીનું નામ નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા બીજેપી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોનો સમાવેશગુજરાત રાજ્ય સરકારના ભાજપ સાશિત રાજ્યમાં ઘણા સમયથી મંત્રી મંડળમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી હતી. જે વાત પર કાલ મોડી રાત્ર સુધી કયા ધરાસભ્યનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થશે તે બાબતે ઉમેદવારો તેમજ બીજેપીના કાર્યકરો ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા હતા તે વાતને આજે પૂર્ણ વિરામ મળ્યું છે. ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરીફરી એકવાર મંત્રીમંડળમાં પરષોત્તમ સોલંકીનો સમાવેશ થતાં સમાજના લોકો તેમજ મોટી સખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા તેમના ભાવનગર સ્થિત મીરા કુંજ બાંગ્લા ખાતે ફટાકડા ફોડી આતીશબાજી કરી એકબીજાના મોં મીઠા કરી વધામણાં કર્યા હતા. તેમજ જીતું વાઘણીના પરિમલ ચોક ખાતે આવેલા કર્યાલય પર કાર્યકરો દ્વારા નવા મંત્રી પદના શપથ લેવાતા કાર્યકરો દ્વારા આંનદભેર ફટાકડા તેમજ મીઠાઈઓ વેચી ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 2:01 pm

કારોબારી બેઠકમાં જિલ્લામાં ફાળવાતી ગ્રાન્ટને લઈ વિવાદ:બેઠક પૂર્વે કેટલાક સભ્યોને બંધ બારણે સમજાવયા, ગ્રામ્યમાં ચૂંટણી પૂર્વે વિકાસ માટે રૂપિયા ફાળવાય તેવી માગ

વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં કારોબારી સમિતિના કેટલાક સભ્યોમાં જિલ્લામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટને લઈ વિવાદ સર્જાયો હતો. બેઠક પૂર્વે સિનિયર સભ્ય દ્વારા કેટલાક સભ્યોને બંધ બારણે સમજાવવામાં આવ્યા હતા. જેના કારણે સમિતિની બેઠક સમય કરતા મોડી શરૂ થઈ હતી. જો કે આ બાબતે સમિતિના ચેરમેન નિલેશ પુરાણીએ કોઈ વિવાદ નથી તેવી વાત કરી હતી. બેઠક પૂર્વે જે થયું તે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર ન હતુંજિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારી સમિતિની બેઠક પૂર્વે જિલ્લાના કેટલાક કારોબારી સમિતિના સભ્યોએ વિકાસના કામો માટે ગ્રામ્યમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી બેઠક પૂર્વે સિનિયર સભ્યને જણાવ્યું હતું. જો કે, આ બેઠક પૂર્વે જે થયું તે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર ન હતું. સયાજી પૂરા ખાતે કરવામાં આવી રહેલા કામ કરતા ગામડાના વિકાસ માટે નાણાં ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. 382.20 લાખના 171 કામોને સભા બાદ વહીવટી મંજૂરીઆ અંગે કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણીએ જણાવ્યું હતું કે, આ કારોબારી બેઠકમાં 382.20 લાખ રૂપિયાના 171 કામોને સભા બાદ વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેની આજે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જિલ્લાની તમામ આંગણવાડીમાં એસ એસના વાસણો આપવા માટે ગત બજેટમાં 65 લાખની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ મારા જિલ્લામાં 1409 આંગણવાડીઓ છે જેમાં વધુ ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. સાથે રિનોવેશન થયેલા સભાખંડમાં અધિકારીઓ અને પત્રકારો માટે ટેબલ ન હોવાથી તે કામો અંગે ચર્ચા કરવામાં આવી છે. જિલ્લા વિકાસની 7 કરોડ ગ્રાન્ટ સભ્યોને ફાળવવામાં આવશેવધુમાં કહ્યું કે, સભ્યોમાં આંતરિક ગ્રાન્ટને લઈ વિવાદ છે કે કેમ તે બાબતે મને જાણ નથી. આ સાથે જિલ્લાના વિકાસ માટે જે ગ્રાન્ટ સાત કરોડ છે તે સભ્યોને ફાળવવામાં આવશે. આ સિવાય નાણાં પંચના વ્યાજની બચતના પૈસા છે તે સદસ્યની માંગણી હશે તે ફાળવવામાં આવશે. મોડી બેઠક અંગે ટ્રાફિકમાં ફસાયો હોવાની જણાવ્યું હતું. સભ્યોની માંગણી અંગે અમને જાણ નથી અને જરૂર પડશે તે પ્રમાણે વિકાસ માટે પૈસા ફાળવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 1:52 pm

અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા મંત્રી બન્યા:રતનાલ ગામે વિશેષ ઉજવણી, પરિવારમાં ખુશીનો માહોલ

અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં તેમના વતન રતનાલ ગામે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ સમાચારથી પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. કચ્છના અંજાર તાલુકાનું રતનાલ ગામ જિલ્લામાં અગ્રેસર ગામ તરીકે ઓળખાય છે. ત્રિકમભાઈ છાંગા ભોજાણી પરિવારના બીજલભાઈ તેજાભાઈ છાંગાના પાંચ પુત્રોમાં સૌથી નાના છે. તેમના પરિવારની શરૂઆતથી જ ઈચ્છા હતી કે તેઓ શિક્ષક બનીને ગામ અને પરિવારનું નામ રોશન કરે. સન 1962માં જન્મેલા ત્રિકમભાઈ શરૂઆતથી જ નીતિમત્તા, પારદર્શિતા અને સ્વચ્છતાના હિમાયતી રહ્યા છે. તેમની જીવનશૈલીમાં આ મૂલ્યો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તેમની કાર્યનિષ્ઠા અને કામ પ્રત્યેની ભાવના જાણીતી છે. મંત્રી પદમાં સમાવેશ થવાના પગલે રતનાલ સ્થિત ત્રિકમભાઈના ઘરે પરિજનોમાં આનંદ જોવા મળ્યો હતો. તેમના પુત્ર બળવંત છાંગાએ સરકારના આ નિર્ણય બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ઘર-પરિવાર, ગામ અને સમગ્ર કચ્છ જિલ્લામાં ખુશીનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 1:38 pm

કૌશિક વેકરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ:અમરેલીમાં ખુશીનો માહોલ, પરિવારજનો-કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી

ગુજરાત સરકારના પ્રધાનમંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રમોશનના સમાચાર મળતા જ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ ખુશીની ઉજવણી જિલ્લા ભાજપ કાર્યાલય અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના કાર્યાલય નજીક ફટાકડા ફોડીને કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સમર્થકો ઉત્સાહભેર એકઠા થયા હતા. કૌશિક વેકરીયાના વતન દેવરાજીયા ગામમાં પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પત્ની સગુણાબેન દેવરાજીયા સરપંચ તરીકે ફરજ બજાવે છે. પરિવારજનો અને ગ્રામજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. કૌશિક વેકરીયાના પત્ની સગુણાબેન વેકરીયાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં તો ખુશી છે જ, પરંતુ સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે. રાજકારણમાં તેમણે પગલું ભર્યું છે અને હવે તેમને પ્રમોશન મળ્યું છે. શરૂઆતમાં તેઓ સરપંચ હતા અને હવે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ગુજરાત રાજ્યમાં વિકાસ થઈ રહ્યો છે અને તેઓ આ વિકાસની હરોળ ચાલુ રાખશે. હજી વધુ વિકાસ થાય તેવી મારી ઈચ્છા છે. કૌશિક વેકરીયાની રાજકીય સફર અમરેલી તાલુકાના દેવરાજીયા ગામના લેઉવા પાટીદાર સમાજમાંથી શરૂ થઈ હતી. તેઓ 2002 થી 2006 દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય હતા. ત્યારબાદ 2009 થી 2012 સુધી અમરેલી તાલુકા ભાજપ મહામંત્રી, 2012 થી 2016 સુધી અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ, 2016 થી 2020 સુધી જિલ્લા ભાજપ મહામંત્રી અને છેલ્લી ટર્મમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમને વિધાનસભાના નાયબ દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે તેમને પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 1:26 pm

વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ:પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ, પિતાએ વડાપ્રધાનનો આભાર માન્યો

વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે. તેમના મંત્રી બનતા જ તેમના પરિવારજનો અને વતન બીયોક ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.બીયોક ગામમાં ગ્રામજનો અને સમર્થકોએ ફટાકડા ફોડીને આ ખુશીની ઉજવણી કરી હતી. સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પિતા સરદારજી ઠાકોરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 1:23 pm

રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરના અને પૈસાદાર મંત્રી:મંત્રીમંડળમાં રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રનું વજન વધ્યું, પાટીદાર-OBC પર ફોકસ

ભૂપેન્દ્ર પટેલ 2.0. સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મનપાની આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ હતા. આ વખતે તેમની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રીઓને બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીઓની સરેરાશ ઉઁમર, સંપત્તિ, ઝોન વાઈઝ પ્રતિનિધિત્વ અને જ્ઞાતિ-જાતિના ફેક્ટરની તમામ માહિતી જે તમે જાણવા માગો છો. નવા મંત્રી મંડળમાં પાટીદારના 7 અને OBCના 8 મંત્રીપ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે OBC ચહેરાને સ્થાન આપ્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ OBCનો દબદબો જોવા મળશે. નવા મંત્રીમંડળમાં OBC સમાજના સૌથી વધુ 8 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે પાટીદાર સમાજના 7 મંત્રીઓ રહેશે. મંત્રીમંડળમાં બે દલિત મહિલાઓની સાથે કૂલ ત્રણ મહિલાઓને સ્થાન અપાયું છે. ભૂપેન્દ્ર પટેલના આ પહેલાના મંત્રીમંડળની વાત કરીએ તો તેમાં પાટીદાર સમાજના 4 મંત્રી હતા તેની સામે આ વખતે 7 મંત્રીઓ બન્યા છે. ઓબીસીના 6 હતા તેની જગ્યાએ 8 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં દલિત સમાજનું વજન પણ વધ્યું છે. જૂના મંત્રીમંડળમાં જ્યાં દલિત સમાજના ફ્કત એક મંત્રી હતા તેની જગ્યાએ આ વખતે ત્રણ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. કઈ જ્ઞાતિના કયા મંત્રી ગ્રાફિક્સની મદદથી સમજીએ... આ સમાચાર પણ વાંચોઃ 10 મંત્રીઓને કેમ પડતા મૂક્યા?, 6 રિપીટ માટે કયું ફેક્ટર કામ કરી ગયું? ભાનુબેનથી લઈ ભીખુસિંહને શું શું નડ્યું? સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વજન વધ્યું, દક્ષિણ ગુજરાતનું ઘટ્યુંઝોનવાઈઝ મંત્રીઓની વાત કરીએ તો નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વજન વધ્યું છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ અમદાવાદમાંથી આવતા હોય સ્વભાવિક રીતે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. 26ના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર કચ્છના 9 મંત્રીઓને સ્થાન અપાયું છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના 7 મંત્રીઓને સ્થાન અપાયું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મંત્રીઓની સંખ્યા વધી છે પરંતુ, ટકાવારીની દૃષ્ટિએ ઘટાડો થયો છે. મંત્રીમંડળમાં ઝોનવાઈઝ કેટલો વધારો થયો તે ગ્રાફિક્સની મદદથી સમજીએ... આ સમાચાર પણ વાંચોઃ ઉંમરમાં રિવાબા જાડેજા સૌથી નાના અને કનુ દેસાઈ સૌથી મોટા મંત્રીનવા મંત્રીમંડળમાં મંત્રીઓની ઉંમરમાં પણ સરેરાશ 5 વર્ષનો ઘટાડો થયો છે. આ પહેલાના મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી તેની જગ્યાએ હવે 5 વર્ષ ઘટીને 55 વર્ષ થઈ છે. હર્ષ સંઘવી, રિવાબા જાડેજા, પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા તો એવા મંત્રીઓ છે જેની ઉંમર 40 કે તેથી ઓછી છે. ઉંમરને ધ્યાન પર રાખી જે રીતે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપનું ફોકસ ગુજરાતમાં નવી પેઢીને તૈયાર કરવાનું છે. તમામ મંત્રીની ઉંમરનું વિશ્વલેષણ ગ્રાફિક્સની મદદથી સમજો... રીવાબાના પરિવારની સૌથી વધુ 97.36 કરોડની સંપત્તિઆ પહેલાના મંત્રીમંડળમાં 324 કરોડની સંપત્તિ સાથે બળવંતસિંહ રાજપૂત સૌથી વધુ શ્રીમંત મંત્રી હતી. નવા મંત્રીમંડળમાં તેઓને પડતા મૂકાતા તેઓનું સ્થાન રીવાબા જાડેજાએ લીધું છે. નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂતની બાદબાકી થતા નવા મંત્રીમંડળની સરેરાશ સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. આ પહેલાના મંત્રીમંડળની સરેરાશ સંપત્તિ 30 કરોડ હતી જે ઘટીને હવે 11 કરોડ થઈ ગઈ છે. તમામ મંત્રીની સંપત્તિની વિગત ગ્રાફિકસમાં જુઓ...

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 1:10 pm

SVPI એરપોર્ટ પર મુસાફરોને વહેલા પહોંચવા અપીલ:દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર વહેલાસર પહોંચવા અપીલ, કોઈ ફ્લાઇટ ચૂકી ન જાય તેની તકેદારી રાખવા સૂચન

દિવાળી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) દ્વારા મુસાફરોને એક અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું છે કે, દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. તેથી, અમદાવાદ એરપોર્ટ તમામ મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ તેમની મુસાફરીના આયોજનમાં પૂરતો સમય ફાળવે અને ફ્લાઇટના નક્કી કરેલા સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચે. મુસાફરોને એરપોર્ટ પર વહેલાસર પહોંચવા અપીલદિવાળીના તહેવારમાં લોકો વેકેશન દરમિયાન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે. ત્યારે વેકેશન દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોના વધેલા ધસારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ સ્ટાફ દ્વારા સુરક્ષા અને સુવિધા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોનો સમયસર સહયોગ એરપોર્ટ પર થતી પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં મદદ કરશે અને છેલ્લી ઘડીની દોડધામ અને કોઈ ફ્લાઇટ ચૂકી ન જાય તેવી પરિસ્થિતિ ટાળી શકાશે. મુસાફરોને અસુવિધા ન થાય તે માટે, એરપોર્ટ ઓથોરિટી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ફ્લાઇટ ચૂકી ન જાય તેની ખાસ તકેદારી રાખવા સૂચનએરપોર્ટ પ્રશાસને સુરક્ષા કર્મચારીઓ તેમજ એરલાઇન સ્ટાફને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ દિવાળીની રજાઓમાં એરપોર્ટ પર મુસાફરી કરી રહેલા તમામ નાગરિકોને યાત્રાનું યોગ્ય આયોજન કરવા અને સમયસર પહોંચીને તેમની ફ્લાઇટ ચૂકી ન જાય તેની ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 1:02 pm

જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ:સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી, મત વિસ્તારમાં ખુશીનો માહોલ

રાજ્યના મંત્રીમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમના મત વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપા સંગઠન, નગરસેવકો અને કાર્યકરોમાં પણ આ પસંદગીને લઈને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું હતું કે, રિવાબા જાડેજા કુનેહપૂર્વક કામ કરીને રાજ્ય અને દેશને આગળ ધપાવશે. તેમણે ઉમેર્યું હતું કે, રિવાબા જામનગર શહેર અને જિલ્લાના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:53 pm

પાવીજેતપુર નજીકથી ₹ ૧.૭૭ લાખનો ગાંજો ઝડપાયો:મધ્યપ્રદેશના ત્રણ શખ્સો ૧૭.૭૮૭ કિલોગ્રામ માદક પદાર્થ સાથે પકડાયા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પોલીસે ₹ 1.77 લાખથી વધુ કિંમતના ગાંજા સાથે મધ્યપ્રદેશના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. એમપી પાસિંગની એક ઈક્કો ગાડીમાંથી 17.787 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે પાવીજેતપુર ખાતે બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે, વસવા નાળા નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન છોટાઉદેપુર તરફથી આવતી સફેદ કલરની ઈક્કો ગાડી (નંબર MP-09-DJ-4657) ને રોકાવી તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹ 1,77,870/- આંકવામાં આવી છે. ગાંજાનો જથ્થો સેલોટેપથી વીંટાળેલા ત્રણ ખાખી પેકેટો, એક લીલા કલરનો ચેનવાળો થેલો અને એક પીળા કલરની મીણીયા થેલીમાં છુપાવેલો હતો. પોલીસે કમલ તુક્કારામ પિપલીયા (ઉ.વ. 34), રાજાભાઈ મુકેશભાઈ બારેલા (ખોટે) (ઉ.વ. 21) અને મહેબુબ રજાક મન્સુરી (ઉ.વ. 43) ની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના અંજડ ગામના રહેવાસી છે. ગાંજા ઉપરાંત, પોલીસે ₹ 4,00,000/- ની કિંમતની ઈક્કો ગાડી અને ₹ 20,500/- ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, આમ કુલ ₹ 5,98,370/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશના અંજડ ગામના ફઝલું મન્સુરીએ આપ્યો હતો અને તે વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા અબ્દુલ લંગડોને પહોંચાડવાનો હતો. પાવીજેતપુર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેકેટના અન્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:53 pm

10 મંત્રીઓને કેમ પડતા મૂક્યા?:6 રીપિટ માટે કયુ ફેક્ટર કામ કરી ગયું? ભાનુબેનથી લઈ ભીખુસિંહને શું શું નડ્યું?

ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. જો કે જૂના 26 મંત્રીઓમાંથી માત્ર 6 મંત્રીને જ રીપિટ કરવામાં આવ્યા છે અને 10ને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે 19 નવા ચહેરાને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. દિવ્ય ભાસ્કરે નવા મંત્રી મંડળમાં કનુદેસાઈથી લઈ પરસોત્તમ સોલંકીને કેમ રીપિટ કર્યા અને બલવંતસિંહથી લઈને ભાનુબેન બાબરિયા સહિત 10ને કેમ પડતા મૂક્યા તેનું એનાલિસિસ કર્યું છે. મૂળ કોંગ્રેસના મંત્રી હોય તેવા ચહેરાઓ વધુ કપાયા છે. જેથી મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસી મંત્રીઓનું સ્થાન ઘટ્યું છે. મૂળ કોંગ્રેસના હોય અને જે મંત્રીઓ કપાયા છે, તેમાં બળવંતસિંહ રાજપુત, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ અને રાઘવજી પટેલનો સમાવેશ થાય છે. જ્યારે કુંવરજી બાવળિયાને યથાવત રખાયા છે. આ ઉપરાંત મૂળ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને મંત્રી મંડળમાં લેવાયા છે. એટલે કે હાલના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસના પાંચ મંત્રીઓ હતા જે હવે ઘટીને માત્ર બે જ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:45 pm

દિવ્યાંગોના દીવડાએ દિવાળી જગમગી:આશાદીપ ફાઉન્ડેશનના મનો દિવ્યાંગોએ કલાત્મક દીવડા બનાવી ₹5,000 થી ₹15,000ની કમાણી,ભારતના 7000 જેટલા ડોક્ટરોના ઘરે જગમગે છે દિવ્યાંગોના દીવડા

દિવાળીના પાવન પર્વ પર જ્યાં એક તરફ બજારોમાં રોશની અને ખરીદીનો માહોલ છે, ત્યાં જૂનાગઢમાં આવેલું આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન મનો દિવ્યાંગ બાળકો, યુવકો અને વૃદ્ધોના જીવનમાં સ્વ-રોજગારનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. આ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી માનસિક દિવ્યાંગોના વિકાસ માટે કાર્યરત છે અને તેમને માત્ર સારવાર જ નહીં, પરંતુ જીવન જરૂરી કલાત્મક કામગીરી પણ શીખવીને પગભર થવામાં મદદ કરી રહ્યું છે. દિવ્યાંગોએ બનાવેલા દીવડાઓ આ વર્ષે દિવાળીની રોશનીમાં એક વિશેષ ઉજાસ ઉમેરી રહ્યા છે. આ દિવાળીએ આશાદીપ ફાઉન્ડેશનના મનો દિવ્યાંગોએ મહેનત કરીને કુલ 40,000 થી વધુ કલાત્મક દીવડાઓનું ઉત્પાદન કર્યું છે, જેણે લોકોના ઘરોમાં દિવાળીની રોશની સાથે દિવ્યાંગોના સ્વમાનનો પ્રકાશ પણ ફેલાવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મનો દિવ્યાંગ બાળકોને જીવનમાં નવી નવી પ્રવૃત્તિઓ કરાવી તેઓ આત્મનિર્ભર બની શકે તેવો છે. ભારત ભરના 7,000 ડોકટરો સુધી પહોંચ્યા દીવડા મનો દિવ્યાંગ બાળકોને દીવડા બનાવવાની પ્રવૃત્તિમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી પ્રોત્સાહન અને ઓર્ડર મળતાં તેમના ઉત્સાહમાં વધારો થયો છે. આ વર્ષે એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની તરફથી ફાઉન્ડેશનને 32,000 દીવડાઓનો મોટો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય જગ્યાઓએ પણ વેચાણ કરીને દિવ્યાંગોએ કુલ 40,000 જેટલા દીવડાઓ બનાવ્યા હતા.આ ફાર્માસ્યુટિકલ કંપની દિવ્યાંગોએ બનાવેલા દીવડાઓને સારી રીતે પેકિંગ કરીને, આશાદીપ ફાઉન્ડેશનનું નામ આપીને, ભારતભરના 7,000 જેટલા ડોક્ટરોને ભેટ સ્વરૂપે પહોંચાડે છે. આ સહયોગ છેલ્લા 4 વર્ષથી મળી રહ્યો છે, જેના કારણે દિવ્યાંગોએ બનાવેલા દીવડાઓની માંગમાં અનેકગણો વધારો થયો છે અને તેમની કલાત્મક કારીગરીને રાષ્ટ્રવ્યાપી ઓળખ મળી છે. આત્મનિર્ભરતા તરફ: ₹15,000 સુધીની કમાણી આ દીવડા બનાવવાની પ્રવૃત્તિમાંથી દિવ્યાંગોને તેમના કામ અને મહેનત મુજબ ₹5,000 થી ₹15,000 જેટલી કમાણી પણ થાય છે, જે તેમને માત્ર આર્થિક ટેકો જ નથી આપતી, પરંતુ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. આશાદીપ ફાઉન્ડેશન મનોદ દિવ્યાંગ બાળકો, યુવકો અને વૃદ્ધોને સારવારની સાથે સાથે આ કલાત્મક કામગીરી શીખવે છે, જેનાથી તેઓ પગભર થઈ શકે. દીવડા ઉપરાંત, આશાદીપ ફાઉન્ડેશનના દિવ્યાંગો રક્ષાબંધનના તહેવાર પર રાખડીઓ તેમજ અન્ય તહેવારોમાં વિવિધ કલાત્મક ચીજવસ્તુઓ બનાવે છે. તેઓ લગભગ 18 થી 20 જેટલી અલગ-અલગ કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાની કારીગરી શીખ્યા છે, જેનાથી તેમની રોજગારીના અવસરોમાં વધારો થયો છે. કલાત્મક દીવડા બનાવવાની પદ્ધતિ આ દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતા દીવડાઓ અન્ય બજારમાં મળતા દીવડાઓથી અલગ તરી આવે છે. તેના નિર્માણ પાછળની પ્રક્રિયા પણ રસપ્રદ છે.પ્રથમ તબક્કામાં દીવડાઓનો ઓર્ડર લેવામાં આવે છે અને તે મુજબ કાચા દીવાઓ અમદાવાદ કે રાજકોટથી ખરીદવામાં આવે છે.ત્યારબાદ દીવડાઓના શણગાર અને સુશોભન માટે જરૂરી મીણ, વાટ, રંગો અને અન્ય સામગ્રી ખરીદવામાં આવે છે.આ સૂકા દીવડાઓને પાણીમાં પલાળવામાં આવે છે, જેથી તે રંગોને સારી રીતે શોષી શકે.ત્યારબાદ દીવડાઓમાં બેઝિક રંગો આપવામાં આવે છે.અંતિમ તબક્કામાં, દિવ્યાંગો દ્વારા દીવડાઓને અલગ-અલગ કલર અને ચાંદલિયાઓથી સુંદર રીતે શણગારવામાં આવે છે. દિવ્યાંગોના ઉત્સાહ અને મહેનતથી તૈયાર થયેલા આ કલાત્મક દીવડાઓ ખૂબ જ સરસ દેખાય છે અને લોકો તેને અન્ય દીવડાઓ કરતાં વધુ પસંદ કરે છે. દીવડાઓના શણગારથી માંડીને તેના આકર્ષક પેકિંગ સુધીની તમામ કામગીરી આશાદીપ ફાઉન્ડેશનના દિવ્યાંગો જ સંભાળે છે.આશાદીપ ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષથી દીવડા બનાવતી આવી છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી મોટા ઓર્ડરો મળવાથી દિવ્યાંગો બનાવેલા દીવડાઓની માંગ અને તેમના કામ પ્રત્યેનો ઉત્સાહ અનેકગણો વધ્યો છે. આશાદીપ ફાઉન્ડેશનના સંચાલકોએ જાહેર જનતાને વિનંતી કરી છે કે દિવ્યાંગોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે, તેઓએ બનાવેલી ચીજવસ્તુઓ ખરીદે અને આ દિવ્યાંગોને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધવામાં સહાયભૂત બને.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:44 pm

ભરૂચમાં SPની હાજરીમાં લોક દરબાર યોજાયો:ટ્રાફિક સહિતની સમસ્યાઓ પર નાગરિકોની રજૂઆત, કાર્યવાહીનો આદેશ

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો. જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોક પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારોના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે. આ અવસરે ભરૂચના એસસીએસટી સેલના ડીવાયએસ પી ડો.અનિલ સિસારા,એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવા, પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:36 pm

પેટલાદના મોરડમાં 15 વર્ષીય કિશોરનું કુવામાં ડૂબવાથી મોત::ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસ તપાસ શરૂ

પેટલાદ તાલુકાના મોરડ ગામના ખોડીયારપુરા વિસ્તારમાં એક ઘટના બની છે. ગતરોજ મોડી સાંજે 15 વર્ષીય કિશોર દશરથ વિનુભાઈ પરમાર કુવામાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આણંદ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ, દશરથ પરમાર ગતરોજ મોડી સાંજના સમયે અચાનક કુવામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તાત્કાલિક કુવા પાસે દોડી આવ્યા હતા અને આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના હેઠળ સબ ફાયર ઓફિસર એચ.એમ. ભુરીયા, લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર, ભાવેશ વરુ, ફાયર ડ્રાઇવર પ્રદિપસિંહ સોલંકી, ફાયરમેન હિતેશ વસાવા અને યુવરાજસિંહ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દશરથને કુવામાંથી બહાર કાઢ્યો હતો. જોકે, લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે દશરથનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. મહેળાવ પોલીસે આ અંગે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:34 pm

શાકાહાર સ્વસ્થ જીવનનો આધાર:માંસાહાર અનેક રોગોનું કારણ, ઇકોસિસ્ટમ માટે પણ હાનિકારક

શાકાહારને સ્વસ્થ જીવનનો આધાર ગણાવવામાં આવે છે, જ્યારે માંસાહારનો ત્યાગ કરવો અત્યંત જરૂરી હોવાનું મંતવ્ય રજૂ કરાયું છે. પૃથ્વી પરના કોઈપણ જીવને મૃત્યુ પસંદ નથી, તેમ છતાં પશુ-પક્ષીઓને માંસ માટે પીડાદાયક રીતે મારવામાં આવે છે. આ સંદર્ભે મીટ ઇઝ મર્ડર જેવા વિચારો પ્રચલિત છે. એ પણ નોંધનીય છે કે હાથી, હિપ્પોપોટેમસ, ગેંડો, ઘોડો, જિરાફ અને ગાય જેવા શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી છે. આ દર્શાવે છે કે માંસાહારથી જ પોષણ અને તાકાત મળે છે તે માન્યતા ખોટી છે. હાલમાં સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ જેવી કે શાકાહાર અને યોગ તરફ વળી રહ્યું છે. ઘણા લોકો શાકાહારી (વેજીટેરીયન) અને વિગન બની રહ્યા છે. જોકે, દુર્ભાગ્યવશ, ભારતના કેટલાક યુવાનો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને માંસાહાર અપનાવી રહ્યા છે, જેનાથી કરોડો નિર્દોષ જીવોની હત્યામાં તેઓ નિમિત્ત બની રહ્યા છે. આધુનિક વિજ્ઞાન પણ પુરવાર કરી ચૂક્યું છે કે માંસાહાર અનેક રોગોનું મૂળ છે અને તેનાથી શરીરને ભારે નુકસાન થાય છે. તેનાથી વિપરીત, શાકાહાર સંપૂર્ણ નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રદાન કરી શકે છે.જેવું અન્ન તેવું મન સૂત્ર મુજબ, આહારની સીધી અસર વ્યક્તિના વ્યવહાર પર પડે છે. માંસાહારનું પ્રમાણ વધવાથી ઇકોસિસ્ટમ ખોરવાય છે, જેના પરિણામે કુદરતી આફતો, ભૂકંપ, પૂર અને કોરોના જેવી બીમારીઓ કે વિનાશ સર્જાઈ શકે છે.આ નક્કર હકીકતો જાણવી અને અન્યને જણાવવી એ દરેક જાગૃત માનવની જવાબદારી છે. પોતાના માટે નહીં તો ભવિષ્યની પેઢીના કલ્યાણ ખાતર પણ આ ફરજ બજાવવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:33 pm

જલારામ જયંતી નિમિત્તે નોનવેજ વેચાણ બંધ રાખવા રજૂઆત:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એનિમલ હેલ્પલાઈને કરી અપીલ

આગામી તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર) ના રોજ ઉજવનાર જલારામ જયંતી નિમિત્તે રાજ્યભરમાં કતલખાના, ઈંડા, માંસ અને મચ્છીનું વેચાણ બંધ રાખવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કારતક સુદ-૭ ના દિવસે 'જલારામ જયંતી' પવિત્ર ભાવથી ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પૂ.પૂ. શ્રી જલારામબાપાના કરોડો ભક્તો દેશ-વિદેશમાં આ દિવસને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. જલારામબાપાએ 'ટુકડો ત્યાં હરિ ઢૂકડો' નો સંદેશ આપ્યો હતો અને આજીવન સદાવ્રત ચલાવી સેવાભાવી જીવન જીવ્યા હતા.આ પવિત્ર દિવસની ગરિમા જાળવવા માટે રાજ્યના કતલખાના, ઈંડા, માંસની લારીઓ અને દુકાનો સદંતર બંધ રાખવાની માંગ કરવામાં આવી છે. આ રજૂઆત ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને એનિમલ હેલ્પલાઈન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.સમસ્ત જનતા વતી આ રજૂઆત કરનારાઓમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મિતલ ખેતાણી, એનિમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર અને પારસભાઈ મહેતાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:28 pm

બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું:ટુંડી વેટલાઇન પાસે હજારો પેલીકન પક્ષીઓનો જમાવડો આકર્ષણનું કેન્દ્ર

બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંવનનકાળને કારણે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના માટે બંધ રાખવામાં આવ્યા બાદ, હવે દિવાળી પહેલા તેને ખોલવામાં આવતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ અભયારણ્ય રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરનું નિવાસસ્થાન છે. હાલમાં, ટુંડી વેટલાઇન પાસેના માઉન્ટ પર હજારો પેલીકન પક્ષીઓનો જમાવડો થયો છે, જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુલાબી ઠંડકના વાતાવરણમાં પ્રવાસીઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં કુલ 27 જેટલા વિવિધ અભયારણ્યો આવેલા છે, જેમાં 4954 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ઘૂડખર અભયારણ્ય પણ સામેલ છે. તેને સને 1973માં ઘૂડખરના સંરક્ષણ માટે રક્ષિત કરવામાં આવ્યું હતું. અહીં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 7672 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે. ઘૂડખર પ્રાણીના સંવનનકાળ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તે માટે દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને કારણે ગીર અભયારણ્ય વહેલું ખુલ્લું મુકાયું હતું, જ્યારે બજાણા ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતના અન્ય તમામ અભયારણ્યો 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અભયારણ્ય વિભાગના અધિકારીઓ આગામી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવાની આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:27 pm

શરદ પૂર્ણિમાએ સુરમિયા 1 સોસાયટીમાં ગરબાનું આયોજન:સભ્યો, બાળકો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી સુરમિયા 1 સોસાયટીમાં શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો, તેમના મિત્રો, વરિષ્ઠ નાગરિકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઉપસ્થિત સૌએ પરંપરાગત ગરબાના તાલે ઝૂમીને શરદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. સમગ્ર સોસાયટીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.કાર્યક્રમના અંતે, સોસાયટીના કમિટી મેમ્બર્સ, ચેરમેન અને સેક્રેટરી દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેણે સહભાગીઓના ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Oct 2025 12:25 pm