રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનારી છે. જેમાં 63 જેટલી દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સ્માર્ટ સિટીથી કટારિયા ચોક સુધીનો માર્ગ ફોર ટ્રેક કરવાની મુખ્ય દરખાસ્ત છે. 4.32 ટકા ડાઉનભાવથી રૂ.44.79 કરોડમાં જીએસટી સાથે આ કામ ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને આપવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. આ માર્ગ ફોર ટ્રેક બનવાથી અંદાજે 5 લાખ વાહનચાલકને તેનો લાભ મળશે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.11માં પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી 24.00 મીટરનો ટી.પી.રોડ ડેવલપ કરવાના કામ અંગે રૂ.6.50 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવા કમિશનરે દરખાસ્ત કરી છે. અંદાજે 1.5 કિ.મી.નો આ માર્ગ ડેવલપ થતાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ સહિતના રાહદારીઓને તેનો લાભ મળશે. આ ઉપરાંત વોર્ડ નં.15માં અમૂલ સર્કલથી નેશનલ હાઇવે તેમજ રામવન રોડ પર ગરુડ ગેટ(ગેટ નં.2)થી આરએમસીની હદ સુધીના રોડને ડેવલપ કરવાના કામે જીએસટી સહિતનું રૂ.14,76,78,000નું એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આશરે 60500 ચો.મી. રોડ ડેવલપ કરવાનો હોય ત્રણ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાં સૌથી ઓછા શ્રીજી દેવકોન પ્રા.લિ.એ ભાવ ભરતા તેમના ખર્ચને મંજૂર કરવા દરખાસ્ત કરાઇ છે. આ ત્રણેય કામોની દરખાસ્તને સ્ટેન્ડિંગ બહાલી આપી દેશે તો જુલાઇ માસના અંત સુધીમાં અથવા ઓગસ્ટ માસના પ્રારંભે તમામ એજન્સીઓ પોતાના કામ શરૂ કરી દેશે અને તેની સમયમર્યાદા દોઢ વર્ષની એટલે કે 18 માસની હોય ત્યાં સુધીમાં કામ પૂર્ણ કરી લેવાશે. આ ઉપરાંત વોર્ડ નં.1, 8, 9, 10, 11માં રસ્તા ડામર કાર્પેટ અને રિ-કાર્પેટ કરવાના કામે પેરેલલ કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત અંગે પણ સ્ટેન્ડિંગમાં આજે નિર્ણય લેવાશે. પૂર્વ ટીપીઓ સામે તપાસ મુદ્દે શાસકો પર સૌની મીટસ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઇ સાગઠિયા સામે ધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ,2002ની જોગવાઇ હેઠળ પ્રોસિક્યુશન કરવા અંગેની મંજૂરી માટે કમિશનરે દરખાસ્ત કરી છે. હવે શાસકો શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ છે. કતલખાનાનું કામ આરોગ્ય શાખામાં તબદીલ કરાશેસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તકની કતલખાના વિભાગની કામગીરી આરોગ્ય શાખામાં તબદીલ કરવા મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા અને સુરત મનપામાં કતલખાનાની કામગીરી આરોગ્ય વિભાગ કરતું હોવાથી સ્થાનિક લેવલે આ કામગીરીનો હવાલો આરોગ્ય વિભાગને સુપ્રત કરાયો છે. સાઇકલ શેરિંગ બંધ થવાના આરે, 132 સાઇકલની કરાશે હરાજીમહાનગરપાલિકા દ્વારા એનજીઓની મદદથી 2015માં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 150થી વધુ સાઇકલથી શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ હવે બંધ કરવાના આરે પહોંચી ગયો છે. મોટાભાગની સાઇકલો ભંગાર થઇ જતા 132 સાઇકલની મનપાએ હરાજી કરવા દરખાસ્ત કરી છે. જ્યારે હવે માત્ર 41 સાઇકલ જ ચાલકોને શેરિંગ કરવા માટે રહેશે. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીના ભાડા નક્કી કરાશેરેસકોર્સમાં આવેલી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું આધુનિકીકરણ કરીને સેન્ટ્રલી એરકન્ડિશન બનાવાયા બાદ આર્ટ ગેલેરીને અલગ-અલગ ત્રણ હોલના ભાડા દર અને ડિપોઝિટ રકમ નિયત કરવા કમિશનરે દરખાસ્ત કરી છે. જેમાં કલાવિષયક પ્રદર્શન કે જેમાં કોઇ ફી, ટિકિટ ન હોય અને કલાવિષયક પ્રદર્શન કે જેમાં ફી, ટિકિટ વેચાણ કરવામાં આવનાર હોય તેના ભાડા અલગ રહેશે. પારડી રોડ પર રૂ.21.52 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનશેવોર્ડ નં.17માં પારડી રોડ પર આવેલા વિરાટનગરમાં રૂ.21.52 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવા મનપાએ આયોજન કર્યું છે. પારડી રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે સૌથી ઓછા ભાવ ભરનાર એજન્સી એસ.એમ.સલાડિયાને રૂ.21,55,29,372ના ખર્ચે કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે. આ એજન્સીએ 6.70 ટકા ડાઉન ભાવ ભર્યા હતા.
ભાજપથી છેડો ફાડ્યો:વહીવટ વગર કામ થતાં નથી, ભાજપમાંથી આઈટી સેલના સહ ઇન્ચાર્જનું રાજીનામું
રાજકોટ વિધાનસભા 68ના ભાજપના આઇટી સેલના સહ ઇન્ચાર્જ વિવેક લીંબાસિયાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. મહાનગરપાલિકામાં વહીવટ વગર કામ થતાં નથી તે સહિત બાર કારણોથી પોતે ભાજપથી છેડો ફાડી રહ્યાનું કહ્યું હતું. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા અને વિધાનસભા 68ના આઇટી સેલના સહ ઇન્ચાર્જ તરીકે સેવા આપતાં વિવેક લીંબાસિયાએ મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. વિવેક લીંબાસિયાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મનપામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વહીવટ વગર લોકોના કામ થતાં ન હોવા સહિતના બાર કારણોથી પોતે ભાજપમાંથી રાજીનામું આપે છે. . લીંબાસિયાએ કહ્યું હતું કે, સૂચિત સોસાયટીના નામે તોડ થઇ રહ્યા છે. વેપારમાં કમરતોડ વધારો કરી લોકોને આર્થિક બોજ લાદવામાં આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનમાં સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી સીટનો રિપોર્ટ રાજકોટના લોકો સમક્ષ જાહેર કરાયો નથી. મનપા પશ્ચિમ ઝોનમાં વિકાસના કામો કરે છે તેના પ્રમાણમાં પૂર્વ અને દક્ષિણ વિભાગને અન્યાય કરાય છે. પૂર્વ ઝોન સાથે વિકાસ બાબતે અન્યાય થવા અંગે અને વહીવટ વગર કામ ન થવા અંગે વિધાનસભા 68ના ધારાસભ્ય ઉદય કાનગડને અનેક વખત ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે આ બાબતે ક્યારેય રિસ્પોન્સ આપ્યો નહોતો. લીંબાસિયાએ રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. શહેર ભાજપના આગેવાનો સ્તબ્ધ થઇ ગયા હતા અને વિવેક લીંબાસિયાને ભાજપમાં ક્યા નેતા લાવ્યા હતા અને તેને કોની સાથે ઘરોબો હતો તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હતી.
શહેરના વોર્ડ નં.11માં મોટામવા વિસ્તારમાં ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમ.ની લાઇન લીકેજ થતાં રસ્તા પર પાણીના ફુવારા ઉડ્યા હતા અને આખો માર્ગ પાણી-પાણી થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગની ટીમે ત્યાં તાત્કાલિક દોડી જઇ મેન લાઇન બંધ કરી લીકેજ લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી અને ત્યારબાદ તિરુમાલા સોસાયટી, આંગન ગ્રીનસિટી, રુદ્રા હેરિટેજ, શ્રીનાથ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ શરૂ કર્યું હતું.
કાર્યવાહી:પોરબંદરમાંથી વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
પોરબંદર શહેરમાં કસ્તુરબા ગાંધી રોડ પર ભગવતી શેરી પાસેથી પોલીસે ગઇકાલે બપોરના સમયે 1 શખ્સને વરલી મટકાના આંકડાઓ પર જુગાર રમતો રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ પાસેથી રૂ. 8000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. કસ્તુરબા ગાંધી રોડ પર ભગવતી શેરી પાસેથી પોલીસે ગઇકાલે બપોરના સમયે જાહેરપીર પાસે રહેતા નિલેષ ધનજીભાઇ ચૌહાણ નામના શખ્સને વરલી મટકાના આંકડાઓ પર જુગાર રમતો રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સો પાસેથી વરલી મટકાના જુગારનું સાહિત્ય તથા રોકડ રૂ. 8000 કબજે કર્યા છે. પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ASI બી. એસ. ચાંડપાએ હાથ ધરી છે.
કાર્યવાહી:છેલ્લા 24 કલાકમાં દારૂના 7 કેસ નોંધાયા
પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસવડાની સુચના હેઠળ પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે , છેલ્લા 24 કલાકમાં દેશી દારૂના 7 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. જેમાંથી પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી 1 શખ્સને પીધેલી હાલતમાં તથા 32 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બંદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
ધરપકડ:ગોધરા વાગડીયાવાસમાં આંકડાનો જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયા
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ વાગડીયાવાસમાં આંકડાનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક નાસી છુટતા પોલીસે 3 સામે જુગારધારાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા વાગડીયાવાસમાં કેટલાક ઇસમો ભેગા મળીને આંકડાનો જુગાર રમાડી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તા.30 જૂનના રોજ બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો. પોલીસની રેઇડ દરમ્યાન કાળુભાઇ સરદારભાઈ વળવાઈ અને વિનોદભાઈ માવજીભાઈ વાગડીયા ઝડપાઈ ગયા હતા. પકડાયેલા ઇસમોની અંગજડતી કરતા રોકડ રૂા.2 હજાર અને જુદા જુદા આંકડા લખેલી પાવતીઓ મળી આવી હતી. જ્યારે ભીખાભાઈ પન્નાભાઈ વાગડીયા નાસી છૂટ્યો હતો. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ત્રણે ઇસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નિમણૂંક:બી.એલ.ઓ.માં શિક્ષણ સિવાય અન્ય કર્મીઓની નિમણૂંક કરો
તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રાંતઅધિકારીને લેખિત રજુઆત કરી બી.એલ.ઓ.માં શિક્ષણ સિવાય અન્ય કર્મીઓની નિમણૂક કરવા માંગ કરી હતી. પોરબંદરના તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રાંતઅધિકારીને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે બીએલઓ કે જેઓ જે તે બુથમાં મતદારયાદી ની કામગીરી સંભાળતા હોય છે તેમા વિવિધ કેડરના કર્મચારીઓને નિમણૂંક આપવામાં આવે છે તાજેતરમાં ભારતના તથા ગુજરાત રાજ્યના ચુંટણી પંચ દ્વારા થયેલ સુચના મુજબ બીએલઓના નવા આદેશ થયેલ છે જેમાં ઘણી વિસંગતતા સર્જાઈ છે જે રાજય લેવલનો પ્રશ્ન છે અને જો તેનું નિરાકરણ નહીં આવે તો મતદારયાદીની કામગીરી આખા રાજ્યમાં ખોરંભે ચડવાની ભીતિ છે તેમજ રાજય ચુંટણી પંચ દ્વારા 22/10/2022 ના પત્ર મુજબ બીએલઓ તરીકે નિમણૂક આપતી વખતે શિક્ષક સિવાય અન્ય કેડર જેવી કે આંગણવાડી કાર્યકરો, તલાટીમત્રી, ગ્રામ્ય સ્તરના કામદારો,વીજબીલ રીડર તથા વીજ કર્મચારીઓ, પોસ્ટમે ન, સ હાયક નર્સ મીડવાઈફ, આરોગ્ય કર્મચારીઓ, મધ્યાહનભોજ ન કર્મચારીઓ વગેરેનો સમાવેશ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે તેમ છતાં માત્ર ને માત્ર પ્રા.શિક્ષકોના જ આદેશો કરવામાં આવે છે જે અન્યાય કર્તા છે હાલમાં પોરબંદરની મોટાભાગની સરકારી પ્રા.શાળામાં શિક્ષકોની ઘટ છે ને ઉપરાંત આવી વધારાની કામગીરી થોપવામાં આવે છે જેથી શિક્ષણ પર ગંભીર અસરો ઊભી થવાનું જોખમ છે જેના લીધે પ્રાથમિક શિક્ષકોમા ભારે રોષ છે.
તપાસ:નાના વેલોડાનાં ખેડૂતને કાનોસણના શખ્સે ખેતર પડાવી લેવાની ધમકી આપી
સરસ્વતી તાલુકાના નાના વેલોડા ગામનાં ખેડૂતે કાનોસણ ગામનાં શખ્સ પાસેથી વ્યાજે લીધેલાં રૂ.50,000 અને રૂ.30,000 વ્યાજ સહિત કુલ 80,000 રોકડ પરત ચૂકવી દીધી હોવા છતાં ખેડૂત પાસે થી રૂ20,000 વ્યાજની ઉઘરાણી કરી ખેતર પડાવી લેવાની ધમકી આપતાં ખેડૂતની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નાના વેલોડા ગામનાં ખેડૂત પ્રવિણજી ઉર્ફે ટીનો લહેરાજી ઠાકોરે કાનોસણ ગામના નાગજીજી સોવનજી ઠાકોર પાસેથી રૂ.50,000 વ્યાજે લીધા હતા. તેમણે મુદ્દલ 50,000 અને વ્યાજ પેટે રૂ 30,000 મળી કુલ રૂ 80,000 તેમને ચૂકવી દીધા હતા તેમ છતાં નાગજી ઠાકોર વધુ રૂ.20,000ની માગણી કરી રહ્યા હતા અને પ્રવિણજીને તેમનું ખેતર પડાવી લેવાની પણ ધમકી આપી હતી. તેવા આરોપ સાથે પ્રવિણજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે નાગજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અકસ્માત:સ્કૂટરની ટક્કરે બાળકને કપાળમાં બે ફ્રેક્ચર
પાટણ શહેરમાં વર્ધન સોસાયટી પાસે રમતા બાળક સ્કૂટરની અડફેટે આવતાં કપાળમાં ગંભીર ઇજાઓ થઈ હતી. પાટણ શહેરમાં વર્ધન સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર ગૌતમભાઈ મંગળભાઈ સોલંકી નો દીકરો સમર્થ તેમના ઘર આગળ રમતો હતો તે વખતે તે સોસાયટીમાં જ રહેતાં ઊર્મિત સોલંકી તેમનું હિરો કંપનીનું મેટ્રો લઈને પસાર થતાં બાળક ને સ્કૂટરની ટક્કર વાગતાં તે નીચે પડી ગયો હતો કપાળના ભાગે બે ફેક્ટર થયા હતા નાકના ભાગે ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો આ અંગે બાળકના પિતા ગૌતમભાઈ સોલંકી એ સ્કૂટરના ચાલક ઉર્મિત સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.
કામગીરી:પાટણમાં પંચોલીપાડામાં લાંબા સમય બાદ સીસી રોડ બન્યો
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ 2023-24ની ગ્રાન્ટમાં પાટણના વોર્ડ નંબર 7ના પંચોલીપાડામાં બહુચર માતાના મંદિરથી બહારના રોડ સુધી સીસી રોડનું કામ હાથ ધરાયું છે. રૂ.2,99,595ના ખર્ચે બનતું આ વિકાસલક્ષી કામ હવે પૂર્ણતાની નજીક છે. કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા અને પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિએ સ્થળ પર જઈ કામગીરીની મુલાકાત લીધી હતી. લાંબા સમય બાદ રોડ બનતાં સ્થાનિક રહીશોમાં આનંદ જોવા મળ્યો હતો.
પાલિકાને આવક:એડવાન્સ વેરામાંથી પાટણ પાલિકાને 13.19 કરોડની આવક
પાટણ નગરપાલિકાએ વર્ષ 2025-26ના એડવાન્સ વેરા માટે એપ્રિલથી 30 જૂન સુધી સમય આપ્યો હતો. આ સમયગાળામાં 38,000 કરદાતાઓએ વેરો ભરતા પાલિકાને કુલ 13.19 કરોડ રૂપિયાની આવક થઈ હતી. પાટણ શહેરમાં કુલ રૂ.80,000 મિલકતો છે. વેરો ભરનારાઓને નોટિસ ફીમાંથી છૂટ આપવામાં આવી હતી. વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે આ માહિતી આપી. હવે જે કરદાતાઓએ વેરો ભર્યો નથી, તેમને નોટિસ ફી સાથેનું બિલ મોકલાશે. બિલની રકમ વધુ રહેશે કારણ કે તેમાં નોટિસ ફી ઉમેરાશે.તેવું વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
કામગીરી:પાટણ શહેરમાં પદ્મનાભથી યશધામ રોડ કામ ચલાવો તૈયાર કરાયો
પાટણ| પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર, વીજ કંપનીના ગ્રાઉન્ડ કનેક્શન અને વરસાદી પાણીના નિકાલની લાઈનનું કામ છેલ્લા એક વર્ષથી ચાલુ છે. નગરપાલિકાએ જ્યાં કામ અધૂરું છે, ત્યાં રોડનું કામ અટકાવ્યું છે. પદ્મનાભથી યશધામ તરફ જતો મુખ્ય રોડ લાંબા સમયથી બિસમાર હાલતમાં હતો. કાયમી મરામતમાં વિલંબ થતા પાલિકાએ તાત્કાલિક ઉપાય તરીકે વૈકલ્પિક રસ્તો તૈયાર કર્યો છે.GIDCની મદદથી ચાર ટ્રેક્ટર મિક્સ માલ એકત્ર કર્યો હતો. મંગળવારે સાંજે પાલિકાના રોલર મારફતે લેવલિંગ કરી કામ ચલાઉ રોડ બનાવાયો હતો. હાલ રાહદારીઓને થોડી રાહત મળી છે. તેવું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.
અકસ્માત:પંચાસર ગામમાં થાંભલે ચડેલા યુવકને કરંટ લાગતાં પટકાતાં મોત
ચાણસ્મા તાલુકાના પંચાસર ગામે વરસાદી માહોલમાં ઈલેક્ટ્રિક થાંભલા પર લાઈટનું કામ કરવા માટે થાંભલા પર ચડેલાં યુવકને કરંટ લાગતા નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. બહુચરાજીના જેતપુર ગામનાં 27 વર્ષીય વિક્રમજી વિષ્ણુજી ઠાકોર 30 જૂને ચાણસ્મા તાલુકાના પંચાસર ગામે લાઈટનું કામ કરવા માટે થાંભલા પર ચડ્યા હતા. એ વખતે થાંભલા પર તેમને કરંટ લાગતાં તેઓ નીચે પડી ગયા હતા તેમને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું મોત થયું હતું. ઘટનાની ભરતજી જેઠુજી ઠાકોરે ચાણસ્મા પોલીસને ખબર આપતાં પોલીસે અકસ્માત મોત નોંધ કરી ચાણસ્મા સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાયું હતું.
પ્રકાશ સોની તાલુકા વિકાસની દોર સંભાળતી પંચાયત છેલ્લા 15 વર્ષથી બિલ્ડીંગ વિના ભટકતી જોવા મળે છે.જેમાં વાત છે વારાહીમાં આવેલ સાંતલપુર તાલુકા પંચાયતની જેનું બિલ્ડીંગ જર્જરિત બનતાં 15 વર્ષ પહેલા ડેમેજ જાહેર કરાયું હતું. ત્યારબાદ નવી બિલ્ડીંગ બનાવવાની પ્રક્રિયા કાગળો ઉપર થઈ પરતું વર્ષોથી આજદિન સુધી એક ઈંટ પણ મૂકાઈ નથી. જૂનું બિલ્ડીંગ અતિશય જોખમી હોય ખાલી કરાયું હતું. ત્યારબાદ તાલુકા પંચાયતની ઓફિસ પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં ખસેડાઈ. ત્યાંથી ખાલી કરાવ્યા પછી છેલ્લા 8 વર્ષથી જૂની તાલુકા પંચાયત બિલ્ડીંગ સામે આવેલા ગ્રામ પંચાયતના રાજીવ ભવનમાં કાર્યરત છે. હાલમાં તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિતના વિભાગો રાજીવ ભવનમાં કાર્યરત છે. પરંતુ જગ્યા નાની હોવાથી ત્રણ અલગ અલગ જગ્યાએ વિભાગો ચાલે છે. જેમાં IRD શાખાના 30 જેટલા અધિકારીઓ જૂની ડીઆરડી બિલ્ડિંગમાં બેસે છે. બાંધકામ ખાતાના અધિકારીઓ તાલુકા પંચાયતના ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. આ બેઠકના બિલ્ડિંગ જર્જરીત હાલતમાં હોય ભયના ઓથા હેઠળ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.અનેક રજૂઆતો છતાં નવી બિલ્ડીંગનું કામ શરૂ થયું નથી. કર્મચારીઓએ આપબીતી જણાવી હતી કે વર્ષોથી અમે સ્થળ બદલીને વિભાગો ચલાવી રહ્યા છીએ. આઇઆરડી શાખામાં તો છતમાંથી માથે પોપડા પડતા હોય કોમ્પ્યુટર અને ફાઈલો પણ ઢાંકીને રાખવી પડે છે. ગમે ત્યારે ટેબલ ઉપર કાટમાળ પડતો હોય સતત ભય વચ્ચે કચેરીમાં બેસીને કામ કરવું પડી રહ્યું છે સત્વરે નવીન બિલ્ડીંગ બને તો અમે સારી રીતે અને ભય મુક્ત બનીને કામ કરી શકીશું. જમીન અને ગ્રાન્ટના પ્રશ્નને લઈ વર્ષોથી બિલ્ડિંગ બની શકી નહિ તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માએ જણાવ્યું કે પહેલા જમીનનો પ્રશ્ન હતો જમીન મળ્યા બાદ મંજૂર ગ્રાન્ટ કરતા બાંધકામ ખર્ચ નુ વધું એસ્ટીમેન્ટ આવતા પ્રશ્ન ઊભો થયો હતો.હવે નવીન તાલુકા પંચાયત બિલ્ડિંગની પ્રોસેસ પૂરી થઈ છે.અને એસ્ટીમેન્ટ પણ બની ગયું છે હવે ટૂંક સમયમાં ગ્રાન્ટ મંજૂર થતાં તેનું કામ ચાલુ થશે.
અકસ્માતનો ભય:છાંયા ચોકીથી ભનુની ખાંભી તરફના રસ્તે ફરી ગાબડા ઉજાગર થયા
પોરબંદરના છાંયા ચોકી થી ભનુની ખાંભી તરફના રસ્તે ફરી ગાબડા પડ્યા છે. મસમોટા ગાબડામાં વરસાદી પાણી ભરાયા છે. આ રોડ પરથી પસાર થવામાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પોરબંદર મનપા દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોના માર્ગો અને મુખ્ય માર્ગો કે જ્યાં વરસાદી પાણી ભરાય છે અને ગાબડા પડ્યા છે તેવા રસ્તાઓ પર સમારકામ કરવામાં આવ્યું હતું અને ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ વરસતા જ કેટલાક માર્ગો પર ગાબડા ઉજાગર થયા છે. ખાસ કરીને છાંયા ચોકી ચાર રસ્તા પર પણ ગાબડા પડ્યા છે જેને કારણે રસ્તો ઉબડ ખાબડ બન્યો છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ છાંયા ચોકીથી વીર ભનુની ખાંભી તરફ જતા રસ્તે પેટ્રોલપંપની સામેના રોડ પર ગાબડા પડ્યા છે. આ રસ્તા પર પણ મનપા દ્વારા સમારકામ રૂપી ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ બાદ આ રોડ પર ફરી ગાબડા ઉજાગર થયા છે. મસમોટા ખાડાઓ નજરે ચડે છે અને ખાડાઓમાં વરસાદી પાણી જોવા મળે છે. ઉલ્લેખનીય છેકે, માધવપુર જવા માટે આ હાઈવે રોડ લાગુ પડે છે. આ રોડ પરથી અસંખ્ય વાહનો અને ભારે વાહનો પસાર થાય છે. નિરમા ફેક્ટરીમાં આવતા ટ્રકો પણ અહીંથી પસાર થાય છે. આ રોડ પર ગાબડા પડવાને કારણે કેટલાક ટુ વ્હીલર વાહન ચાલકો રોંગ સાઇડ માંથી પસાર થાય છે અને કેટલાક ચાલકો ગાબડા તારવીને પસાર થાય છે જેને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જેથી વહેલી તકે આ રોડ પરના ગાબડાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. રાત્રિના સમયે વાહનો ખાબકી જવાનો ભય છાંયા ચાર રસ્તેથી ભનુની ખાંભી તરફના રસ્તે મસમોટા ગાબડાઓ પડ્યા છે. અહીંથી રાત્રિના સમયે પણ વાહનોની અવર જવર રહેતી હોય છે, અંધારામાં ગાબડા પસાર કરવા મુશ્કેલ બને છે અને રાત્રીના સમયે વાહનોને ગાબડામાં ખાબકી જવાનો વધુ ભય રહે છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:આખરે એસ.ટી.ડેપોમાં સીસીટીવી કેમેરા રિપેર કરવાની કામગીરી શરૂ કરાઇ
પોરબંદરના એસ.ટી. ડેપો ખાતે ઉપલબ્ધ સીસીટીવી કેમેરા છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા.ત્યારે આ સીસીટીવી કેમેરા ચાલુ કરવા રીપેરીંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી ડેપોમાં બંધ સીસીટીવી કેમેરા શરૂ થતાં મુસાફરોની મુશ્કેલીનો અંત આવ્યો છે. પોરબંદરના એસ.ટી ડેપોમાં મુસાફરો માટે આધુનિક બેઠક વ્યવસ્થા, એસ.ટી.ડેપોના રૂટ અને પ્લેટફોર્મ અંગે એલ.ઇ.ડી.મારફતે જાણકારી તેમજ મુસાફરોની સુરક્ષા માટે 13 જેટલા સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.પરંતુ ડેપોમાં લગાવેલ સીસીટીવી કેમેરા છેલ્લા 2 વર્ષથી બંધ હતા જેથી ડેપોમાં ચોરી,વિદ્યાર્થીનીઓને પજવણી સહિતની સહિતના બનાવો વધ્યા હતા.ત્યારે હવે એસ.ટી. ડેપોના સીસીટીવી કેમેરા રીપેર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલ ડેપોમાં 5 જેટલા સીસીટીવી કેમેરા શરૂ કરવામાં આવ્યા છે.ડેપોમાં સીસીટીવી કેમેરા શરૂ થતાં મુસાફરોની સુરક્ષામાં વધારો થશે.
નિમણૂંક:ચોમાસાની ઋતુને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની સિઝનને લઈને ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ માટે ત્રણ શિફ્ટમાં 3 જેટલા કર્મીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાની સીઝનમાં આરોગ્યની સુવિધા ઘરબેઠા મળી રહે તેમજ કોઈપણ ઇમરજન્સી સારવાર લેવાની ફરજ પડે તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ થઇ શકે તેવા હેતુથી પોરબંદરના જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારીની સૂચનાથી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની કચેરી ખાતે ચોમાસાની સિઝનનો લઈને ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.આ કંટ્રોલ રૂમ માટે આરોગ્ય વિભાગે અલગ અલગ 3 જેટલી શિફ્ટમાં 3 જેટલા કર્મીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.આ કંટ્રોલ રૂમમાં જિલ્લામાં આરોગ્યની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.આ કંટ્રોલ રૂમનો 0286 2212083 પર સંપર્ક કરી કરવા અપીલ કરાઈ છે.
કામગીરી:ખોદકામ થયેલ રોડ પર મેટલ પાથરવાની કામગીરી શરૂ કરાઇ
પોરબંદરમાં જ્યાં ખોદકામ થયેલ સોસાયટીઓમાં ભરતી નાખવામાં આવી હતી અને ચોમાસામાં ભરતી ઓગળી જતા સમસ્યા સર્જાઈ હતી, જેથી મનપા દ્વારા આવા રોડ પર ભરતી ઓગળે નહીં અને મજબૂતાઇ રહે તે માટે નાની મોટી કાંકરીનું મિશ્રણ નાખવામાં આવી રહ્યું છે અને મોટા કામ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. પોરબંદરમાં રાજીવનગર તથા તેની સોસાયટીઓ, રોકડિયા હનુમાન મંદિર પાછળની સોસાયટી, ખાપટ, રવિપાર્ક, મીરાનગર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કામગીરીને લઈને ખોદકામ કર્યા હતા અને ભરતી નાખવામાં આવી હતી. વરસાદમાં ભરતી ઓગળી જતા રોડ પર ચીકણી ભરતીના કારણે સ્થાનિકોને પસાર થવામાં મુશ્કેલી અને વાહન ચાલકોને વાહન પસાર કરવામાં હાલાકી વેઠવી પડે છે. કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે, જેને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિની સૂચનાથી આવા વિસ્તારોમાં મેટલ પાથરવાની કામગીરી શરૂ કરાઇ છે. મનપાના ઇજનેર જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતુંકે, આવા વિસ્તારોમાં ભરતી ઓગળે નહીં અને મજબૂતાઇ રહે તે માટે નાની મોટી કાંકરીનું મિશ્રણ નાખવામાં આવી રહ્યું છે. આ કામગીરી મનપાના બચત માંથી કરવામાં આવી રહી છે અને મોટા કામ માટે ટેન્ડર પણ કર્યું છે. વોટર બાઉન્ડ મેકેડમ એટલેકે નાની મોટી કાંકરીઓનું મિશ્રણ નાખવામાં આવશે જેથી વરસાદમાં કીચડ નહીં થાય અને વાહનો સ્લીપ થવાનો ભય નહીં રહે તેવું જણાવ્યું છે.
પરીક્ષા:પૂરક પરીક્ષાના સાતમાં દિવસે 285માંથી 103 છાત્ર ગેરહાજર
પોરબંદર જિલ્લામાં તા. 23/6થી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. આ પૂરક પરીક્ષા તા. 1/7 સુધી ચાલશે. પૂરક પરીક્ષામાં પોરબંદર કેન્દ્ર ખાતે 7 બિલ્ડિંગના 55 બ્લોકમાં છાત્રો પરીક્ષા આપશે. પરીક્ષાના સાતમાં દિવસે મંગળવારે સવારના સેશનમાં ધો.10માં હિન્દી દ્વિતીય ભાષાના વિષયમાં નોંધાયેલ 193 છાત્ર માંથી 126 છાત્ર હાજર રહ્યા હતા જ્યારે 67 છાત્ર ગેરહાજર રહ્યા હતા, જ્યારે ધોરણ 10ના સંસ્કૃત દ્વિતીય ભાષાના વિષયમાં કુલ 33 માંથી 19 છાત્ર ગેરહાજર રહ્યા હતા, જ્યારે ધો. 10ના એગ્રીકલ્ચરના પેપરમાં 2 છાત્રએ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એસ.પી.સી.સી.ની પરીક્ષામાં કુલ 12 માંથી 7 છાત્ર હાજર અને 5 છાત્ર ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનના પેપરમાં કુલ નોંધાયેલ 45 માંથી 12 છાત્ર ગેરહાજર રહ્યા હતા. આમ બંને સેશનમાં નોંધાયેલ કુલ 285 છાત્ર માંથી 103 છાત્ર ગેરહાજર રહ્યા હતા અને 182 છાત્રએ હાજર રહી પરિક્ષા આપી હતી.
રજુઆત:પોરબંદરના વૉર્ડ નંબર 6માં સફાઈકર્મી કે સુપરવાઈઝર આવતા જ નથી
પોરબંદરના વૉર્ડ નંબર 6 માં ગંદકીને લઈને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજુઆત કરી આ વિસ્તારમાં સફાઈકર્મીઓ તેમજ સુપરવાઈઝર આવતા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં અવાર નવાર ગંદકીની ફરિયાદો સામે આવતી હોય છે.શહેરના વૉર્ડ નંબર 6 ના શારદામંદિર સહિતના વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે.આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર લેખિત રજુઆત કરી આ વિસ્તારમાં સફાઈકર્મીઓ તેમજ તેમના સુપરવાઈઝર આવતા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ આ વિસ્તારમાં આવેલ ભંગારના વેપારીઓ પોતાનો કચરો ત્યાં જ ઠાલવી જતા હોવાથી રઝડતા ઢોરના ત્રાસમાં વધારો થયો છે.આ વિસ્તારમાં ગંદકીમાં વધારો થતાં જ રોગચાળામાં વધારો થવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.જેથી તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ કરી હતી.
હવામાન:વરસાદી ઝાપટા વચ્ચે તાપમાનમાં વધારો નોંધાયો
પોરબંદર શહેરમાં બપોરથી શરૂ થયેલા વરસાદી ઝાપટા સાંજ સુધી વરસવાનું ચાલુ રાખતા મહતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો જેથી ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. જેથી લોકો ફરી ગરમીના પ્રકોપથી અકળાઈ ગયા છે. પોરબંદર જિલ્લામાં આજે પણ વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હોવાથી ગરમીમાં વધારો નોંધાયો હતો. પરંતુ બપોર થતા જ મેઘાડંબર રચાયા બાદ બપોરથી મેઘરાજાએ ઝાપટા સ્વરૂપે વરસવાનું ચાલુ રાખતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. પોરબંદરમાં ગઇકાલના મહતમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સીયશમાં વધારો નોંધાતા આજનું મહતમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જયારે કે ગઇકાલના લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સીયશમાં વધારો નોંધાતા આજનું લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. તાપમાનમાં વધારો થતા ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને લોકો ફરી ગરમીથી ત્રાસી રહ્યા છે.
જામીન નામંજૂર:મામલતદાર કચેરીમાં લાંચિયા પાટાવાળાના જામીન નામંજૂર
ગોધરા શહેરમાં મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં નાયબ મામલતદાર અને કરાર આધારીત પટાવાળા ઝડપાયા હતા. ગોધરાની તાલુકા સેવાસદન કચેરી ખાતે આવેલી ગોધરા પ્રાંત અધિકારીની કચેરીમાં આવેલી ઈધરા નાયબ મામલતદાર દ્વારા અઢી લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે એક લાખ આપવાનો વાયદો થયો હતો. જેના આધારે મહીસાગર એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા વતી એક લાખની લાંચના નાણાં આઉટસોર્સ પટાવાળા ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ લાંચના નાણા ગોધરાની નાલંદા સ્કૂલના કમાઉન્ડમાં સ્વિકારતા ઝડપાઇ ગયા હતા. સમગ્ર કેસની તપાસ દાહોદ એસીબીને સોંપી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને આ કેસમાં કેટલાક અગત્યના પાસાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડ બાદ બંને આરોપીઓને જયુ. કસ્ટડીમાં મોકલ્યા હતા. જેમાં આરોપી કરાર આધારીત પટાવાળા ગણપતભાઈ પટેલ દ્વારા મુખ્ય ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સી.કે. ચૌહાણની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી થતા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઇ આરોપી ગણપતભાઈ કાન્તીભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.
મેઘરાજાએ આરામ ફરમાવ્યો:24 કલાકમાં બપોરે તાપમાન 32 ડિગ્રી પહોંચ્યું
24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના બધા 10 તાલુકામાં 311 મીમી (12.44 ઇંચ) વરસાદ નોંધાયો હતો. પરંતુ મંગળવારની સવારથી મેઘરાજાએ આરામ ફરમાવતા મહદ અંશે વરાપ નીકળી હતી. જોકે આ દરમ્યાન જિલ્લાભરમાં એકંદરે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પરંતુ મેઘરાજાની પધરામણી થઈ ન હતી. આ સ્થિતિ વચ્ચે પણ બપોરે તાપમાન 32 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. સોમવારે સવારે લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે ઘટીને 24.9 ડિગ્રી નોંધાયું હતુ. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા થઈ ગયું હતું. પરંતુ 24 કલાકમાં બપોરે હવામાં 75 ટકા ભેજ વચ્ચે મહત્તમ તાપમાન વધીને 31.8 ડિગ્રી નોંધાયું હતુ. સોમવારે પવનની ઝડપ વધીને 11.9 કિલોમીટરની થઈ ગઈ હતી.
સલામતી અંગે ચિંતા:કાલોલના કાનાવગા વિસ્તારમાં બે માસથી સફાઇ કરાઇ નથી કહી કર્મીઓ પર હુમલો
કાલોલમાં સફાઈ કામદારો પર ટોળાએ હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. મામલાને લઈને પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત કામદારો પોલીસ મથકે ઉમટ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ ખસેડ્યા હતા. સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાશે તેમ જાણવા મળ્યું છે. કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 6મા આવેલા કાનાવગા વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ સમીર પઠાણ નામનો ઈસમ આવ્યો અને આજે 2 મહિને સફાઈ કરવા આવ્યા તેવું કહી ઉશ્કેરાઈને ટોળુ ભેગું કરીને મહિલા સહિતના કર્મચારીઓ ઉપર લાકડીઓ લઈને હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે. જેમાં સફાઈ કામદાર ચૌહાણ શાંતાબેન મનહરભાઈ, સંજયભાઈ તેમજ અંજુબહેન નામના કર્મચારીને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સમીર પઠાણ 25 જણાનું ટોળું લઈને આવ્યો હતો. સફાઈ કામદારો ઉપર હુમલો કર્યો જે બાદ સફાઈ કર્મીઓ કાલોલ નગરપાલિકા ખાતે એકત્ર થયા હતા અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર કાલોલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઈજાગ્રસ્તો સાથે કાલોલ પોલીસ મથકે પહોંચ્યા હતા.જ્યાં ચીફ ઓફિસર મિલાપ પટેલ તથા પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા પણ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તને રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કાલોલ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા આ મામલે ભારે રોષ વ્યક્ત કરી આવો હુમલો કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી સફાઈ કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વાતાવરણ:શહેરમાં વરસાદી ઝાપટાઓ વચ્ચે મહત્તમ પારો 30 ડિગ્રી
જામનગર શહેર સહિત હાલારભરમાં મેઘાવી માહોલ મંગળવારે પણ મહદઅંશે યથાવત રહયો હતો.જે દરમિયાન મહતમ તાપમાન દોઢ ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જયારે આંશિક ઘટાડા સાથે પવનની ઝડપ પણ સરેરાશ વીશથી 30 કિ.મિ. રહેવા પામી હતી.શહેરમાં દિવસ દરમિયાન એકાદ-મે હળવા ભારે ઝાપટા પડયા હતા. જેના પગલે માર્ગો ભીના થયા હતા. જામનગર શહેરમાં મંગળવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન મહતમ તાપમાન 1.5 ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જે દરમિયાન લઘુતમ પારો પણ અડધો ડિગ્રી ગગડયો હતો અને તાપમાન 26 ડિગ્રી નોંધાયુ હતુ. બીજી બાજુ સોમવારે રાત્રી બાદ મંગળવારે પણ હળવા ભારે ઝાપટાઓના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતુ.શહેરમાં ભેજનુ પ્રમાણ બે ટકા વધી 92 ટકા રહયુ હતુ. જે સાથે પવનની ઝડપ પણ પ્રતિ કલાક સરેરશાન 20થી 30 કિ.મિ. રહેવા પામી હતી.જામનગરમાં સોમવારે રાત્રે આઠ વાગ્યા બાદ વધુ ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરમાં સોમવારે સવારે શરૂ થયેલા વરસાદે રાત્રે 10 વાગ્યા સુધી મુકામ કર્યો હતો. જેના પગલે દોઢ ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. જામનગરમાં મંગળવારે પણ સવારે રાત્રી સુધી સમયાંતરે આકાશમાં કાળા ડીબાગ વાદળોની અવરજવર જોવા મળી રહી હતી. જોકે, એકાદ બે ઝાપટાઓને બાદ કરતા રાત્રિ સુધીમાં કોઇ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.
ફરિયાદ:તડીપાર થયેલા શખ્સે પત્નીને ધમકી આપી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જામનગર જિલ્લાના કાલાવડથી તડીપાર થઈને જામનગર રહેવા આવેલા યુવાનને તેની પત્ની સહિત બે શખ્સોએ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે માથાભારે શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથપરા વિસ્તારનો રહેવાસીઓને તડીપાર થયા બાદ જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા ઈરફાન હસનભાઈ પટણીએ કાલાવડમાં રહેતી પોતાની પત્ની ખતીજાબેન ઉપરાંત ચિરાગ તરુણભાઈ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પત્ની સહિત 2 શખ્સો એ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ લગાવ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ચિરાગ કે જેની સામે અગાઉ ફરિયાદીની પુત્રી દ્વારા પોકસોની ફરિયાદ નોંધાવી હતી, જે બાબતનો ખાર રાખીને આરોપી ચિરાગ ઇરફાનભાઇને ધાકધમકી આપતો હતો, જે દરમિયાન આરોપી ચીરાગે કાલાવડમાં રહેતી તેની પત્ની ખતીજા બેનને પોતાની ફેવરમાં કરી લીધી હતી, અને પત્નીએ પણ ધમકીઓ આપી હોવાથી આ ફરિયાદ નોંધાવાઈ છે. આ શખસ માથાભારે હોવાથી તેને તડીપાર કરવામાં આવ્યો હતો, જે બાદ તેની પત્નિ અને અન્ય શખસ દ્વારા અવારનવાર ધમકી આપવામાં આવતી હતી જેનાથી કંટાળી પોલીસ ફરિયાદ કરી છે.
જામનગરના કાલાવડના ધારાસભ્યના પુત્રએ ગરીબ બની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂા. 3 લાખની સહાય મેળવી લેવાના ચકચારી પ્રકરણમાં એવું બહાર આવ્યું છેકે, આ સહાય મેળવવા માટે ધારાસભ્યના પુત્રએ તેના પિતાથી અલગ રાશનકાર્ડ બનાવ્યું અને બાદમાં અલગ રહેતો હોવાનું સોંગદનામું પણ જાહેર કર્યુ, જેથી સહાય મળી શકે. હવે એજન્સી અને અધિકારીઓ આમા સંડોવાયેલા છે, કારણ કે, તેમણે આની કોઇ પુરતી ચકાસણી કર્યા વગર જ સહાયના હપ્તા ચૂકવી દીધા. હવે આ બાબતે તપાસ ચાલુ થઇ ગઇ છે. કાલાવડના ધારાસભ્ય મેધજીભાઇ ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી ગરીબોની સહાયમાં ગરીબ બની પોતાના બનતા બંગલાને સામાન્ય ઘર દર્શાવી કટકે કટકે રૂા. 3 લાખની સહાય લઇ લીધી હતી. આ ચકચારી પ્રકરણ બહાર આવતા જ ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ અધિકારીઓએ કોઇપણ જાતની ચકાસણી વગર આને મંજૂરી આપી દીધી તે તપાસનો વિષય છે. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છેકે, સહાય મેળવવા માટે મોહિતે પોતાનું રાશનકાર્ડ અલગ બનાવ્યું અને સોંગદનામું પણ કર્યુ કે, તે તેના માતા-પિતાથી અલગ રહે છે. ખરેખર તો મોહિત તેના માતા-પિતા સાથે જ રહે છે તે તમામને ખબર છે. હવે જયારે આ બાબત બહાર આવી છે ત્યારે રાજકોટ કમિશનર વિભાગમાંથી તપાસ ચાલુ થઇ ગઇ છે. જે બાબતે હવે આગામી દિવસોમાં પગલા ભરાશે. તપાસ કરી પગલા લેવાશે : રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી આ પ્રકરણ મિડીયાના માધ્યમથી ધ્યાનમાં આવ્યું છે, હવે આનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને ગાંધીનગર હોવાથી વધુ જાણી શકાયું નથી, પરંતુ જો અરજદારે ખોટા કાગળો કે સોંગદનામા રજૂ કર્યા હશે તો સહાય રદ્દ કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ દાખલ થઇ શકે.> મહેશ જાની, રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી. લાભ લેનાર સુધી રૂપિયા પહોંચે તેની જવાબદારી નકકી હોય છે આ યોજનામાં સરકારે નીમેલી એજન્સી અને નોડલ ઓફીસર અરજી કરેલ અરજદારોનો વ્યક્તિગત સંપર્ક કરી અરજદારે આપેલા આધાર પુરાવાની ચકાસણી કરી બાંધકામ સાઇટની મુલાકાત લઇ ફોટોગ્રાફ સાથેનો અહેવાલ તૈયાર કરાઇ છે. ત્યારબાદ તેની પીએમએવાય વેબ ઉપર ડેટા એન્ટ્રી કરી તેની મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવે છે. સરકારમાંથી દરખાસ્ત મંજુર થયે સહાય મંજુર થાય છે. આ કામગીરી નગરપાલિકાનાં નોડલ ઓફીસર અને ચીફ ઓફીસરનાં માર્ગદર્શન હેઠળ થતી હોય છે. તેમાં અરજદારોનાં ફોર્મ કલેશનથી સુપરવિઝન, સ્થળ વિઝીટ અને સહાયનાં હપ્તાની દરખાસ્ત અને છેલ્લા હપ્તા સુધીની જવાબદારી જેતે એજન્સીની હોય છે. આવાસ યોજનાની સહાય કોને મળી શકેપ્રધાનમંત્રી આવાસ યોજના સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પરવડી શકે તેવી કિંમતે આર્થિક નબળા વર્ગના લોકો મકાન બનાવી શકે તે ઉદેશથી આ યોજના અમલમાં મુકાઇ છે. તેમાં લાભાર્થીઓ દ્વારા પોતાની જમીન પર નવું બાંધકામ અને હયાત બાંધકામમાં વધારો કરવા માટ સહાય આપવાનો સરકારનો હેતુ છે. તેમાં લાભાર્થીને માલિકીની જમીન ઉપર 30 ચોમી કાર્પેટ એરીયા સુધીનું નવું બાંધકામ કરી પાકું મકાન બાંધી શકાય તેમજ હયાત મકાન ઉપર ગ્રાઉન્ડ ફ્લોર કે પ્રથમ માળ સુધીનું બાંધકામ કરી શકાય છે. અરજદારની આવક રૂા. 3 લાખ સુધીની હોવી જોઇએ તેમજ કોઇપણ પ્રકારની અગાઉ સહાય ન લીધી હોવી જોઇએ. આ બધી બાબતોનો અહી છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
ભાસ્કર વિશેષ:એવું એક પક્ષી જે આખી દુનિયામાં ક્યાંય નહીં પરંતુ માત્ર જામનગરમાં જ આવે છે રહેવા માટે
ઈન્ડિયન સ્કીમર એક વિલુપ્ત થતું પક્ષી છે, જે બહુ ઓછી સંખ્યામાં બચ્યું છે. એની વસતી તો ઘણી હોવી જોઈએ પરંતુ વિવિધ કારણોથી હવે તેની વસ્તી માત્ર 10% જ રહી ગઈ છે. દેખાવમાં ખૂબ સુંદર આ પક્ષી ઉડતાં ઉડતાં પોતાની લાંબી ખુલ્લી ચાંચથી પાણી ઉપરથી પોતાનો શિકાર જોયે છે અને જેમજેમ તેનો શિકાર પાણીની સપાટીએ આવે છે તે તાત્કાલિક તેને ચાંચમાં દબાવી જાય છે. એટલે કે પાણી ઉપર સ્કીમ કરે છે. આ પક્ષી સંપૂર્ણપણે ભારતીય છે એટલે તેનું નામ ઈન્ડિયન સ્કીમર છે. આવી જ બે બીજી પ્રજાતીઓ અમેરિકા અને આફ્રિકા માં જોવા મળે છે. આનું વજન 300 થી 400 ગ્રામ જેટલું હોય છે. આનું કદ 40 થી 45 સેન્ટિમીટર જેટલું હોય છે. તેની ચાંચ અને પગ નારંગી રંગના હોય છે જ્યારે શરીર બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. તેની ચાંચ 2 થી 2.25 ઇંચ લાંબી હોય છે. દુનિયામાં એવા બહુ ઓછા પક્ષીઓ છે જેમની ચાંચ નીચે તરફ આટલી લાંબી હોય છે. જ્યારે આ પક્ષી તેના પાંખો ફેલાવે છે ત્યારે પાંખોની પહોળાઈ 100 થી 130 સેન્ટિમીટર સુધી પહોંચી જાય છે. જુલાઈથી માર્ચ સુધી 9 મહિના તે જામનગરમાં જ રહે છે. અહીં જ તે પોતાનાં ઈંડા મૂકે છે, બાળકોને જન્મ આપે છે, તેમને ઉડવા અને શિકાર કરવા શીખાવે છે. એ પોતાનાં ઈંડા દરિયા અને નદીના કિનારે રેતમાં ખાડા બનાવી તેમાં રાખે છે. પછી એ મધ્યપ્રદેશની નેશનલ ચંબલ સેન્ચ્યુરી તરફ ચાલ્યા જાય છે અને ત્યાં 3 મહિના વિતાવે છે. આખા વર્ષે તે લગભગ 3000 કિમીનું અંતર કાપી ફરી જામનગર પાછા આવે છે. આપણા દેશમાં 1300 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે જેમાં ટોપ 50 પક્ષીઓમાં આ પક્ષીનું નામ આવે છે.
વીજધાંધીયાથી સંબંધિત વિસ્તારના લોકો ત્રસ્ત:દિ. પ્લોટ-સુમેર કલબ રોડ પર 12 કલાક વીજળી ગુલ
જામનગરના દિગ્વિજય પ્લોટથી સુમેર ક્લબ રોડ ઉપરના અડધા કીલોમીટરના વિસ્તારમાં રવિવારની મધરાતથી સોમવારની મોડી બપોર બાદ સુધી વીજધાંધીયાથી લોકો ત્રસ્ત થયાની ફરિયાદ ઉઠી છે. નાગરિકોએ ફરિયાદ કરતા વીજ કર્મીઓએ જણાવ્યું હતું કે, ફોલ્ટ મળે પછી કામ થઈ શકશે. ક્યારે મળે તે નક્કી નહીં. શહેરના સુમેર ક્લબ ફીડર હેઠળ આવતા દિગ્વિજય પ્લોટ શેરી નંબર-49થી લઈને જોલી બંગલો સુધીના વિસ્તારના કેટલાય ઘરોમાં તા.ર9મીની રાત્રે દોઢ વાગ્યાથી વીજળી ગાયબ થયા બાદ સોમવારે તા.30મીની મોડી બપોર સુધી પણ નહીં આવતા વિસ્તારના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને આ સમય દરમિયાન ફરિયાદનો મારો ચલાવ્યા બાદ પણ પરિણમ આવ્યું ન હોવાની વધુ એક ફરિયાદ નાગરિકોમાં ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વારંવાર વીજ વિક્ષેપની ફરિયાદો રોજીંદી બની છે, જેમાં શહેરના રણજીતસાગર રોડ પરના રઘુવીર પાર્ક, ઇવાપાર્ક, અટલભવન આવાસ કોલોની સહિતના અમુક વિસ્તારોમાં સમયાંતરે વીજળી ગુલ થતી હોવાની ફરિયાદ સંબંધિત વિસ્તારના નાગરીકો ઉઠાવી રહ્યા છે. કલાકો સુધી વીજળી ચાલી જતાં રહેવાસીઓ તોબા પોકારી ઉઠયા છે.
મોકડ્રીલ:30 પેસેન્જરોમાંથી 15 લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા
જામનગર જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટમાં ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટ પર 30 પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જીનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ ઘટનાની જાણ જીલ્લા કંટ્રોલરૂમમાં તથા એરફોર્સ સ્ટેશન પર બપોરે 3.55 વાગ્યે કરવામાં આવતાની સાથે જ માત્ર 10 મીનીટના સમયમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 30 પેસેન્જરો પૈકી તાત્કાલિક સારવારની જરૂર હતી તેવા 5 પેસેન્જરો અને ઈજાગ્રસ્ત 10 સહીત 15 લોકોને 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળ પર પહોચી ત્વરિત હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા તથા સામાન્ય ઈજાગ્રસ્તોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર એરિયા કોર્ડન કરાયો હતો.
હાલાકી:શહેરામાં વરસાદી પાણીના નિકાલની લાઈનની કામગીરીથી હાલાકી
શહેરા નગરમાં કાનુગાહ બાવાની દરગાહથી સી.એચ.સી. સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનની ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિક સહિત વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા નગરમાં આવેલા કાનુગાહ બાવાની દરગાહથી સી.એચ.સી. સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ કામગીરી માટે મુખ્ય માર્ગનું ખોદકામ કરીને તેમાં મસમોટી સિમેન્ટની પાઈપો નાખવામાં આવી રહી છે. ત્યારે પાલિકા તંત્રની આ કામગીરીને લઈને વાહનચાલકો સહિત સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે અવરજવરનો મુખ્ય માર્ગ આડેધડ ખોદી નાખવામાં આવતા ખોદેલ માટી વરસાદના કારણે રસ્તા પર ફરી વળતા કાદવ કીચડ થવાના કારણે અહીંથી અવર જવર કરતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે. સાથે જ નાના બાળકો તેમજ વૃદ્ધોને કાદવ કીચડમાં પડી જવાનો પણ ભય સતાવતો હોય છે. તેવામાં અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈનની કામગીરી દરમ્યાન મેડિકલ ઓફિસર માટીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે. મહત્વનું છે કે આ માર્ગ પર એક તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો બીજી તરફ સી.એચ.સી. સેન્ટર પણ આવેલું છે. સાથે જ પોલીસ સ્ટેશન સામે ઢાકલીયા રોડ પણ આવેલો છે. જ્યાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસ સ્ટેશન અથવા તો સી.એચ.સી. સેન્ટરમાં આવતા હોય છે. જ્યાં જવા માટે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. જેથી સ્થાનિક રહીશો અને વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનની કામગીરી વહેલીતકે પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સમસ્યા:સ્થાનિક વિવાદોમાં અંજુમન સોસો.માં 40 વર્ષથી પાણીની સમસ્યા
ગોધરા શહેરના છેવાડા ના વિસ્તાર ગોધરા વડોદરા હાઇવે પાસે આવેલ અંજુમન સોસાયટીમાં 40 વર્ષથી પીવાનું પાણી ન પહોંચતા સ્થાનિક મહિલાઓ ને દૂર દૂર પીવાનું પાણી લેવા માટે જવું પડી રહ્યું છે. લીલેસરા ગ્રામ પંચાયતમાં આવતા આ વિસ્તારમાં અંદાજિત 100 મકાનો ના રહીશોને હાલમાં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. પરંતુ 2022માં નલ સે જલની કામગીરી શરૂ કરાઇ હતી, તે દરમિયાન ગામમાં જ વિવાદ ઉભો થતાં કામગીરી અટકી પડી હતી અને હાલમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે. 15 ઓગષ્ટ 2019 ના વર્ષમાં સમગ્ર દેશમાં જળ જીવન મિશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો 2024 ના વર્ષ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુદ્ધ પીવાનું પાણી પહોચે તેવું આયોજન કરવામાં આવેલ હતું.પણ હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક એવા વિસ્તારો છે ત્યાં પીવાનું પાણી પહોંચી નથી રહ્યું ગોધરા શહેરના છેવાડે આવેલ લીલેસરા ગ્રામપંચાયત માં આવતા અંજુમન સોસાયટીમાં 40 વર્ષ થી પીવાનું પાણી નથી પોહ્ચ્યું જેને લઈ ને સ્થાનિકો એ ઉનાળા ની સીઝનમાં રૂપિયા ખર્ચીને પાણી ના ટેન્કરો મંગાવવા મજબુર બન્યા છે સોસાયટી સહીત આસપાસ અંદાજિત 100 મકાનો ના રહીશોની મહિલાઓ ને પીવાનું પાણી લેવા માટે સવાર થી દૂર દૂર સુધી જવું પડે છે. સ્થાનિક મહિલાઓ વર્ષોથી ખાનગીબોર કુવામાંથી પીવાનું પાણી મેળવી રહ્યા છે. જેના માટે સવારથી લાઈનોમાં ઉભા રહેવા સ્થાનિક મહિલાઓ મજબુર બની છે. સોસાયટીના નિર્માણ પછી પીવાના પાણીની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી જાય છે.પણ આજદિન સુધી સમસયા નું કોઈ નિરાકરણ આવેલ નથી. વર્ષો વિતી ગયા છતાં કાયમી નિરાકરણ આવતું નથી અમો અહીંયા વર્ષો થી રહીએ છીએ સવાર પડતા ની સાથે અમોને પીવાના પાણીની ચિંતા સતાવે છે. વર્ષોથી અમો દૂર દૂર સુધી પીવાનું પાણી મેળવવા માટે જઈએ છીએ. કલાકો સુધી ખાનગી બોર કે કુવા પર લાઈનોમાં ઉભા રહેવા મજબુર બનીએ છીએ. વર્ષો વીતી ગયા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. મોં.હનીફ મીર, સ્થાનિક, સ્થાનિક મતભેદોમાં કામગીરી અટકી હતી લીલેસરા ગ્રામપંચાયતમાં આવતા અંજુમન સોસાયટીમાં 2022 ના વર્ષ માં નલ સે જલ અંતર્ગત યોજના હેઠળ સોસાયટીમાં કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.પણ સોસાયટી ની મુખ્ય ડ્રેનેજ લાઈન તૂટવાના ભયે સ્થાનિકોમાં મતભેદ ઉભા થતા કામગીરી અટકી પડેલ હતી જેથી વિભાગને કામગિરી કર્યા વિના પરત ફરવું પડ્યું હતું 2022 માં સ્થાનિકોએ સાથસહકાર આપીને કામગરી પૂર્ણ કરાવી હોત તો પાણી ની સમસ્યા નું કાયમી નિરાકરણ આવી ગયું હોત . આર.આર.વર્મા , વાસ્મો વિભાગ.
પાણીની આવક:નર્મદા ડેમની સપાટી 117.26 મીટર, પાણીની આવક ઘટી
ભાસ્કર ન્યૂઝ | કેવડિયા નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવી રહેલાં પાણીની સામે આરબીપીએચના ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી હોવાથી ડેમની સપાટીમાં ઝડપથી ઘટાડો થઇ રહયો છે. મંગળવારે મોડી સાંજે ડેમની સપાટી 117.26 મીટર નોંધાઇ હતી. સરદાર સરોવરમાં 12,584 કયુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે આરબીપીએચના ટર્બાઇન ચલાવીને 35 હજાર કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયો છે. ગત વર્ષે ઓકટોબર માસમાં ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો હતો. જે સપાટી હવે ઘટીનેે 117.26 મીટર પર પહોંચી છે. શિયાળા અને ઉનાળા દરમિયાન ડેમ 20 મીટર જેટલો ખાલી થઇ ગયો છે. ઉપરવાસમાંથી કયારેક વધારે તો કયારેક ઓછું પાણી આવી રહયું છે જેની સામે આરબીપીએચમાંથી 35 થી 37 હજાર કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. આરબીપીએચના ટર્બાઇન ચાલુ હોવાથી ગરૂડેશ્વર પાસે આવેલો કોઝવે ઓવરફલો થઇ ગયો છે.
મોરબીમાં રવિવારે બપોરના સમયે વાહનમાં ગૌમાંસ લઈ જવામાં આવી રહ્યું હોવાની શંકાએ વાહનનો પીછો કરી ખાટકીવાસ વિસ્તારમાં ગયેલા યુવાનો ઉપર હુમલો થવાના બનાવના પોલીસે સામસામી ફરિયાદ નોંધ્યા બાદ બન્ને પક્ષોના પાંચ-પાંચ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં લાલજી ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત ઉ.34 રહે.બજરંગ સોસાયટી, વાવડી રોડવાળાએ આરોપી જાકીરહુસેન, ઈસુ મુસા કટારીયા, શબ્બીર અબાસ, હુરબાઈબેન અલીભાઈ, ફાતેમાબેન, બે વાહનના ચાલકો તેમજ અજાણ્યા 15થી 20 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જાહેર ર્ક્યું હતું કે, બપોરે ફરિયાદીના મિત્ર સાગર કાંતિલાલ પલાણને જીજે - 12 - બીઝેડ - 8346 નંબરના બોલેરો વાહનમાં પશુ ભરેલા હોવાની શંકા જતા આ વાહનની પાછળ ખાટકીવાસમાં જતા તેને માર મારતા હોવાનો મેસેજ ગૌસેવકોના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા ફરિયાદી પોતે, તેમના મિત્ર રવિ જીતેન્દ્રભાઈ અને દિનેશ રામજી લોરીયા બચાવવા જતા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. સામાપક્ષે શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ ઉ.28 રહે. દરબાર શેરી, ખાટકીવાસ વાળાએ આરોપી મહેબૂબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્ર પાલા, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત અને દિનેશ રામજી લોરીયા રહે.તમામ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મહેબૂબ અને સાગર પલાણ અમોને ઘેટા બકરા આપવા આવેલી બોલેરો પીકઅપ પાછળ આવીને ગૌમાંસ ભરેલું હોવાની શંકાએ વાતચીત કરતા હતા તેવામાં અન્ય આરોપીઓ આવી ગયા હતા અને વાતાવરણ ઉગ્ર બની ગયું હતું તેમજ ઇજાઓ પહોંચાડી હતી. આ ગંભીર બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી હતી. જેના આધારે પોલીસે સબીર અબ્બાસ તરકબાણ, સિકંદર રજાક કટારીયા, ઇશા મુશા કટારીયા, જાકીર હુશેન અન્સારી રહે. ચારેય ખાટકીવાસ અને અલીશા ઉમરશા શેખ રહે. શિકારપુર તેમજ રવિ પાલા, મહેબુબ સુમરા, દિનેશ લોરિયા, લાલજી નિમાવત અને સાગર પલાણ રહે. મોરબી વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
મોરબીને હરિયાળું બનાવવાની પહેલ:મોરબીને લીલુંછમ બનાવવાની નેમ : 2 કલાકમાં 2500 રોપા ચપોચપ ઉપડી ગયા
મોરબી ઔદ્યોગિક હબ હોવાની સાથે સિમેન્ટ કોંક્રિટનું જંગલ છવાઈ જવાથી પ્રદુષણનું જોખમ વધવાથી પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વધુને વધુ વૃક્ષો વાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.તેથી આ દિશામાં લાયન્સ કલબ મોરબી સીટી અને ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીને હરિયાળું બનાવવાની પહેલ કરવામાં આવી છે. લાયન્સ કલબ મોરબી સીટી અને ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં વધુને વધુ વૃક્ષો વાવવાના હેતુસર છાંયડો અને ઓક્સિજન આપતા વિવિધ વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 જાતના ફળાઉ, છાંયડો તેમજ ઓક્સિજન આપતા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે આ રોપા વિતરણનો લાભ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી અને રોપા લેવા માટે લોકોએ ભારે ઉત્સાહ દાખવતા માત્ર બે કલાકમાં જ 2500 જેટલા રોપાઓનું વિનામૂલ્યે વિતરણ થઈ ગયું હતું. આ તકે પર્યાવરણ પ્રેમીઓએ માત્ર વૃક્ષો વાવીને છોડી નહિ દેવા અને વૃક્ષ જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી તેનું કાળજી પૂર્વક જતન કરવાની લોકોને સમજ આપી હતી. તેમજ લોકોને રોપાઓને ઘરે લઈ જઈ યોગ્ય જગ્યાએ વાવેતર કરવાની પણ જાણકારી આપી હતી અને સૌના સાથ સહકારથી મોરબીમાં પર્યાવરણનું જતન જળવાઈ રહેશે અને મોરબી લીલુંછમ હરિયાળું બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
મોરબી જિલ્લાના માળિયા મિયાણા શહેર અતિ પછાત વિસ્તાર તરીકે ઓળખાય છે. મોટાભાગના પરિવાર નિરક્ષર અને રોજગારી બાબતમાં ખૂબ પાછળ ધકેલાયો છે, જેના કારણે મોટાભાગની વસ્તી સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતા રાશન પર નિર્ભર છે. આજની સ્થિતિએ 3000થી વધુ રાશન કાર્ડ છે અને તેના માટે 5 જેટલી સસ્તા અનાજની દુકાનો છે પરંતુ છેલ્લા 6 મહિનાથી ત્યાં અગાઉ જે દુકાન સંચાલક હતા તેઓએ રાજીનામું ધરી દીધું હતું, જેની પાછળ સ્થાનિકો તરફથી વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપતા ન હોવાથી અંધાધુંધી સર્જાય છે ,પરિણામે કામગીરી કરી શકે તેમ નથી તેમ કહીને તમામ દુકાનદારોએ આપેલા રાજીનામા બાદથી અન્ય સસ્તા અનાજના દુકાન દારોને ચાર્જમાં કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ તેઓ પાસે અન્ય સ્થળના કામ હોવાથી અહી પૂરતો સમય આપી શકતા નથી જેના કારણે અહીં રાશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. આ ઉપરાંત વારંવાર સર્વર ડાઉન રહેતા હોવાના કારણે ફિંગરપ્રિન્ટ મેચ થવામાં સમય લાગતો હોવાથી રાશન વિતરણ થવામાં સમય લાગે છે પરિણામે સ્થાનિકો સાથે ઘર્ષણ થતું હોવાની ફરિયાદ વધી છે લોકો દ્વારા રાશન મળવામાં કલાકો લગતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. માળિયા શહેરમાં તંત્ર દ્વારા રાશન વિતરણ માટે પુરતો સહયોગ આપવામાં આવે છે પરંતુ જયારે સર્વર ડાઉન હોય ત્યારે ફિંગર પ્રિન્ટ લેવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં અમારી કચેરી ખાતે પણ સ્ટાફ રોકીને લોકોના ફિંગર પ્રિન્ટ લઈ પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસ કર્યો હતા. સ્થાનિક લોકો સાથે પરવાનેદારોને વિતરણ બાબતે ઘર્ષણ થતું હોવાથી જ્યાંથી ચાર્જ સોપવામાં આવે છે તેઓ પણ થોડા સમય પુરતું કામ કરી છોડી દે છે જરૂર પડે અમે પોલીસ બંદોબસ્ત રાખી છીએ પરંતુ અમારી અપેક્ષા છે કે સ્થાનિક આગેવાનો અમને પુરતો સહયોગ આપે જેથી લોકોને યોગ્ય રીતે વિતરણ વ્યવસ્થા થઇ શકે તેમ માળિયા મામલતદાર એચ સી પરમારે જણાવ્યું હતું જે દુકાન ઇન્ચાર્જથી ચાલે છે તેના માટે જરૂરી પ્રકિયા શરૂ કરી દેવાઇ છેમાળિયા મિયાણા શહેરની તમામ દુકાનમાં કાયમી પરવાનેદારની કાયદેસરની નિમણૂંક કરવા માટે અરજી પ્રકિયા હાથ ધરી દેવાઈ છે તેમની અરજીઓ પણ મળી છે તાજેતરમાં આચાર સંહિતા હોવાથી જિલ્લા સંકલન બેઠક મળી શકી ન હતી, હવે સંકલન બેઠક મળી ગયા બાદ આ રીપોર્ટ ત્યાં રજૂ કરવામાં આવશે અને જરૂરી પ્રકિયા પૂર્ણ કરી દુકાન શરુ કરવા પ્રયાસ કરાશે. પંથકના રાશનકાર્ડ ધારકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે ધ્યાને લેવાશે. આ પ્રકિયા પૂર્ણ થયા બાદ અને પહેલી સપ્ટેમ્બર સુધીમાં અથવા તો તુરંત બાદ વ્યવસ્થા નિયમિત થઇ જશે. અને વ્યવસ્થા ખોરાવાશે નહીં. તેમ જિલ્લા પુરવઠા અધિકારી જૈમીન કાકડિયાએ જણાવ્યું હતું. સર્વરનો ઈસ્યૂ હોવાથી મુશ્કેલી થાય છે, સ્થાનિકોનો સહયોગ જરૂરીમાળિયા શહેરમાં તંત્ર દ્વારા રાશન વિતરણ માટે પુરતો સહયોગ આપવામાં આવે છે પરંતુ જયારે સર્વરડાઉન હોય ત્યારે ફિંગર પ્રિન્ટ લેવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં અમારી કચેરી ખાતે પણ સ્ટાફરોકીને લોકોના ફિંગર પ્રિન્ટ લઈ પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસ કર્યો હતા. સ્થાનિક લોકો સાથેપરવાનેદારોને વિતરણ બાબતે ઘર્ષણ થતું હોવાથી જ્યાંથી ચાર્જ સોપવામાં આવે છે તેઓ પણ થોડાસમય પુરતું કામ કરી છોડી દે છે જરૂર પડે અમે પોલીસ બંદોબસ્ત રાખી છીએ પરંતુ અમારી અપેક્ષા છે કેસ્થાનિક આગેવાનો અમને પુરતો સહયોગ આપે જેથી લોકોને યોગ્ય રીતે વિતરણ વ્યવસ્થા થઇ શકે તેમમાળિયા મામલતદાર એચ સી પરમારે જણાવ્યું હતું
કલેકટરને આવેદન:પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘનું કલેકટરને આવેદન
રાજ્યની વિવિધ સરકારી શાળામાં કેન્દ્ર અને રાજ્યની વિવિધ પોષણ યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના ચાલુ છે જેમાં હાલ સંચાલક અને રસોયા સેવા આપે છે અને બાળકોને ભોજન આપે છે. જો કે રાજ્ય સરકાર દ્વારા તેમાં માનદ વેતનના નામે મશ્કરી સમાન પગાર આપે છે, આટલું ઓછું હોય તેમ હવે આ પ્રોજેક્ટમાં ધરમૂળથી સુધારા સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યા છે. સરકાર કેન્દ્રિય રસોડા પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં બાળકોને એક શાળામાં રસોઈ બનાવીને જમાડવાના બદલે ખાનગી એજન્સી ચોક્કસ જગ્યાએ રસોઈ બનાવી શાળામાં પહોંચાડશે. જો કે આ પ્રોજેક્ટને લઇ વિરોધ શરુ થયો છે અને પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્રિય રસોડા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો કર્મચારી સંઘે દાવો કર્યો હતો કે ગુજરાત રાજ્યમાં આ યોજના ૧૯૮૪થી અમલી છે .રાજ્યની તમામ શાળાઓમાં કિચન ગેસ,જરૂરી સ્ટાફ, ઉપલબ્ધ છે જેના માધ્યમથી દેશની ઉત્તમ અમલવારીમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે અને ભારત સરકારની પણ ગાઈડ લાઈન છે. પ્રત્યેક શાળામાં જ ભોજન તાજુ બનાવવાની સુવિધા હોવી જોઈએ એ મુજબ ગુજરાત રાજ્ય ની તમામ શાળાઓમાં જ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે.હવે કેન્દ્રીય રસોડાનો પ્રોજેક્ટ જે ગુજરાત બહારની ચાર સંસ્થાઓના જ પોષણ માટે લાવવામાં આવ્યો હોવાની આશંકા છે . જેથી આનું ટેન્ડર તાકીદે રદ કરી મૂળભૂત શાળા કક્ષાએ જ ગરમ તાજુ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ આ યોજનામાં રસોઈયા તરીકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ ના રસોઈયાને અગ્રતા ક્રમની જોગવાઇ મુજબ સામાજિક સમરસતા ના ઉત્તમ વાતાવરણમાં બનતું ભોજન અને પીરસવાની કામગીરી ચાલુ રાખવી જોઈએ. આવેદનમાં વધુમાં દલીલ કરવામાં આવી હતી કે કેન્દ્રિય રસોડા થકી તાજું ભોજન મળવાના બદલે ૪૦/૫૦, કિલોમીટર દૂરથી આગળની મોડી રાત્રે ૩-૦૦ વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે વિતરણ થવાની શક્યતા છે અને આ થવાથી બાળકોને પોષણ મળવાના બદલે વધુ બીમાર થઇ શકે છે, જેથી આ યોજનાની અમલવારી ન થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.
ગંદકીનું સામ્રાજ્ય:મોરબીમાં જૂના હાઉસિંગ બોર્ડના એસટી પિકઅપ સ્ટેન્ડ પાસે ગંદકીના ગંજ ખડકાયા
મોરબી શહેરમાં થોડા અમથા વરસાદમાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે, તંત્રની અણઆવડતના કારણે તેમજ વરસાદી પાણીનો અનેક દિવસો સુધી નિકાલ ન થતો હોવાના કારણે ત્યાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે ત્યારે આવી જ એક સમસ્યા શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા જૂના હાઉસિંગ બોર્ડના એસટી પીકઅપ સ્ટેન્ડ નજીક જોવા મળી રહ્યા છે. એક તરફ બ્રિજના પીલરની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ વરસાદી પાણીના ખાબોચિયાં પણ ભરાયેલા છે,જેના કારણે વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું તે મોટો સવાલ ઉભો થયો છે આ ઉપરાંત પાણીના સમયસર નિકાલના થવાના કારણે ત્યાં ગંદકી ગંજ ખડકાયા છે. જેના કારણે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી આશંકાઓ શિવાય રહી છે આ અંગે સ્થાનિક આગેવાન મહાદેવભાઈ ગોહિલે લોકો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશનર ને લેખિત રજૂઆત કરી વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી છે સાથે આ વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરાના ટ્રેક્ટર સમયસર મોકલવામાં આવે.
આખરે સમસ્યાનો આવ્યો ઉકેલ:વાંકાનેરના સિરામિક, ફાયર બ્રિક્સના ધંધાર્થીની સમસ્યાનો ઉકેલ
વાંકાનેરના સિરામિક તથા ફાયર બ્રિક્સના ફેકટરી માલિકોની ઉદ્યોગોને લગતી સમસ્યાઓ અંગે ધારાસભ્ય સોમાણીને રજૂઆત કરાઇ હતી જેનો ઉકેલ લાવવામાં આવ્યો છે. વાંકાનેર શહેર તેમજ તાલુકાના સિરામિક એકમો ફાયર બ્રિક્સનું ઉત્પાદન ધરાવતા ઉદ્યોગપતિઓ દ્વારા તેમના ઉદ્યોગોના રસ્તાઓ તથા લાઇટ સહિતના પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય જીતુ સોમાણીને કરવામા આવી હતી. ત્યારે તેમણે ઉદ્યોગપતિઓની રજૂઆત સાંભળી સંબંધિત અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું. આ તકે વાંકાનેર શહેર તથા તાલુકાના સિરામિક ઉદ્યોગો તથા ફાયર બ્રિક્સના ફેકટરી ધારકો જેમકે પ્રગ્નેશભાઇ પટેલ , સાહિલભાઈ વોરા , મિતુલભાઈ ગુગડિયા , રાકેશભાઈ બદરાકિયા , મહેશભાઈ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો ધારાસભ્યને રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત પાલિકાના ઉપપ્રમુખ હર્ષિત સોમાણી , રમેશભાઈ વોરા, ચેતનગિરિ ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા.
માગ:ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરો ઉત્પન્ન થતા હોવાથી તંત્ર યોગ્ય કરે
હાલમાં પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાંથી ડેન્ગ્યુ, મેલેરિયાના મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે. તેથી તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગ થઈ છે. પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાને કરેલા સૂચનમાં જણાવ્યું છે કે, પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાયેલું રહેવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છર જન્યો રોગોનો ફેલાવો થવાની શક્યતા વધી છે. આ સ્થિતિને ધ્યાનમાં લઇ મહાનગરપાલિકા એ સાર્વજનિક પ્લોટમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઈએ અને પ્લોટમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો જોઈએ. પોરબંદરના રાજીવ નગર, આશાપુરા ચોક, રોકડિયા હનુમાન મંદિર પાછળની સોસાયટીઓમાં તેમજ જયુબેલી વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં પાણી ભરાયેલા છે તેમજ પાણીને કોઈ નિકાલ થતો નથી તેના લીધે મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. રોગચાળો વધવાની પૂરી શકયતા રહેલી છે સાર્વજનિક પ્લોટમાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે અને જંતુનાશક દવાનો છટકાવ નહિ કરવામાં આવે તો બહોળા પ્રમાણમાં લોકોમાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધશે. તેથી મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઈએ.
વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકો અને તેના આજુબાજુના સમગ્ર પર્વતીય વિસ્તારમાં વરસાદ બાદ કુદરત પોતાનું અસલ રૂપ બતાવી રહી છે. વરસાદી માહોલે સમગ્ર વિસ્તારને લીલાછમ બનાવી દીધો છે અને હરિયાળીથી ઢંકાઈ ગયેલા ડુંગરો ફરી જીવંત થઈ ઉઠ્યા છે. પ્રકૃતિના શોભામય દૃશ્યો સૌના દિલ જીતી લઈ રહ્યાં છે. આકાશી દૃશ્યો અને મેઘમય વાતાવરણ વચ્ચે કપરાડાનું સમગ્ર પર્વતીય વિસ્તાર આજની તારીખે ગુજરાતના સૌથી મનોહર સ્થળો પૈકી એક બની ગયું છે. હરિયાળી, ડુંગર પર સરકતા વાદળ વૃક્ષો પર નવા પાંદડા, ઘાસના હરા ગાલિચા જેવી પડતી, ડુંગરો પર સરકતા વાદળો અને ઠંડા પવનની સરસરસાટ સહેજવારમાં મન મોહી લે એવા દૃશ્યો સર્જી રહ્યાં છે. કપરાડાના ટાપી, પાનસોળ, છીલી, પાંચ વેરા, ગિદ્ધડ તથા કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિનું સુંદર દૃશ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આશીર્વાદ સમાનસ્થાનિક વસ્તી માટે આ વરસાદ માત્ર ખેડૂત માટે નથી, પણ પ્રવાસન માટે પણ આશીર્વાદરૂપ છે. ખેડૂતો ખેતરમાં ઝુંબેશથી કાર્ય શરૂ કરી ચૂક્યા છે, જ્યારે બીજી બાજુ કુદરતના આ અનમોલ દ્રશ્યોને જોવા માટે આસપાસના ગામડાંઓ ઉપરાંત શહેરો પાસેથી પણ લોકો પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર-રવિવારના દિવસોમાં ખાસ કરીને કુટુંબો, નેચર લવર્સ અને ફોટોગ્રાફર્સ માટે આ સ્થળો હોટસ્પોટ બની રહ્યાં છે. જળસ્ત્રોતો પણ સક્રિય–નદી, નાળા અને કુવા ભરાયાડુંગરોના પેટા ભાગે વહેતા નાળાઓ ફરી જીવંત બન્યાં છે. અનેક જગ્યાએ નાનાં ઝરણાં વહેતા જોવા મળે છે. વૃક્ષોના ઊંડા છાંયા વચ્ચે પડતા પાણીના ધોધ અને તેમાં પડતાં વાદળોના પ્રતિબિંબો નયનસુખદ બનાવે છે. કપરાડા તાલુકાના ઉંચા ડુંગરોની વચ્ચે આવેલા કેટલાંક કુદરતી કુંડ અને તળાવો પણ પાણીથી ભરાયા છે. પ્રકૃતિની સુરક્ષા માટે અપીલપ્રકૃતિના આ દ્રશ્યો કેટલીયે વાર તાત્કાલિક આનંદ આપે છે, પરંતુ તેના રક્ષણ માટે પણ પગલાં લેવી જરૂરી છે. સ્થાનિક તંત્ર અને નાગરિકો દ્વારા આ વિસ્તારમાં સફાઈ, પ્લાસ્ટિકમુક્ત અભિયાન અને પ્રવાસન માટે શિસ્તબદ્ધ વ્યવસ્થા જરૂરી છે જેથી કુદરતનું આ સુંદર રૂપ નિરંતર ટકી રહે.
ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગઈકાલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી. રાજ્યના વિવિધ સ્થળે NDRF-SDRFની 32 ટીમો તૈનાત કરાઈ છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે 94 રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે. આજે આ જિલ્લામાં વરસાદની આગાહી 3 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી 4 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી 5 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી 6 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગહી 7 જુલાઈના રોજ આ જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદસામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે. રાજ્યમાં હાલ ચોમાસુ નબળુ પડ્યું છે. જોકે, તેમ છતાં કેટલાય જિલ્લામાં ગતરોજ વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી તાપી જિલ્લાના છેવાડાના તાલુકાના અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા કુકરમુંડા ગામથી 10 કિલોમીટરના અંતરે સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાલ્હેરી ધોધ સક્રિય થયો હતો. તેમજ કચ્છ જિલ્લામાં પાલર ધુના, કડિયા ધ્રુવ સહિતના ધોધ જીવંત થયા છે. 1 જુલાઈના વરસાદનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ ગુજરાતમાં જુલાઇમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતાભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં જોખમી સ્ટંટ કર્યું હતું. યુવકે પોતાની કાર સાથે કરેલા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી હિરેન પટેલની ઓળખ થઈ હતી. પોલીસે તેની કાર સાથે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે હિરેન પટેલ અગાઉ દારૂની હેરાફેરીના કેસમાં પણ સંડોવાયેલો હતો. આરોપી હિરેન પટેલ ખેરગામ, ધરમપુર અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. તેણે ધરમપુર વિસ્તારમાં પોતાની જીપ ગાડીથી સ્ટંટ કરી રીલ્સ બનાવી હતી. સોશિયલ મીડિયા પર વાયદાર યુવક તરીકેની છાપ ઊભી કરવા માટે તેણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા આઈડી પર અપલોડ કર્યો હતો.
વલસાડ પોલીસે મહારાષ્ટ્રના વિરાર ઈસ્ટમાંથી ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર શિવા ચિન્નપ્પા ધોત્રેને ઝડપી પાડ્યો છે. આરોપી વલસાડ સિટી અને ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવીય બાતમી આધારે કાર્યવાહી કરી. 47 વર્ષીય આરોપી મૂળ કર્ણાટકના ગુલબર્ગાનો વતની છે. તે હાલમાં વિરાર ઈસ્ટમાં રહેતો હતો. એલસીબી પોલીસની ટીમે વસઈ વિસ્તારમાં જઈને સ્થાનિક બાતમીદારોની મદદથી તેને શનિવારે તેના ઘરેથી ઝડપી લીધો. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે પોતાના જમાઈ રાહુલ સિલ્વરાજ મુપનાર સાથે મળીને અઢી મહિના પહેલા વલસાડ અને ભરૂચમાં ઘરફોડ ચોરી કરી હતી. શિવા ધોત્રે પોતાની ટોળકી સાથે વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. હવે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ તપાસ માટે તેને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે.
વાપીમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ:દમણગંગા નદીમાં કૂદનાર મહિલાને સ્થાનિક યુવકોએ બચાવી
વાપીના ડુંગરા વિસ્તારમાં માનસિક અસ્થિરતા ધરાવતી મહિલાએ મંગળવારે દમણગંગા નદીના પુલ પરથી કૂદકો માર્યો હતો. મહિલા નદીમાં પડતાની સાથે જ નજીકના ગામના યુવાનોએ તરત જ નદીમાં છલાંગ લગાવી. ધસમસતા પાણીમાંથી મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકોએ તરત જ 108 અને ડુંગરા પોલીસને જાણ કરી. બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. મહિલાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હાલમાં તેની તબીબી તપાસ ચાલી રહી છે. પોલીસે મહિલાના આપઘાતના પ્રયાસના કારણોની તપાસ શરૂ કરી છે. સ્થાનિક યુવકોની સમયસૂચકતા અને બહાદુરીથી એક જીવ બચી જવા પામ્યો છે. આ ઘટનામાં યુવકોની હિંમત અને સૂઝબૂઝની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
માલવણ હાઈવે પર ટ્રક-બાઈક અકસ્માત:પીપળીથી કાલીયાણા પરત ફરતા ત્રણ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં હેમરેજ
માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. પીપળી રામદેવપીર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ત્રણ યુવકોને ટ્રકે પાછળથી ટક્કર મારી છે. કાલીયાણા ગામના કૃણાલભાઈ રાવળ અને જીગ્નેશભાઈ ભરવાડ બાઈક પર પીપળી દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે તેમને પુનાભાઈ ઠાકોર મળ્યા હતા. ત્રણેય જણા બાઈક પર કાલીયાણા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે આવતી ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. બાઈક ચાલક કૃણાલભાઈને કપાળે નવ ટાંકા આવ્યા છે. પુનાભાઈને માથામાં હેમરેજ થયું છે. તેમનો જમણો હાથ કાંડા પાસેથી ભાંગી ગયો છે. કોણીના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. જીગ્નેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કૃણાલભાઈએ બજાણા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બજાણા પોલીસ મથકના વી.બી.મેટાલીયા કેસની તપાસ કરી રહ્યા છે.
વાલિયા-વાડી માર્ગ પર જર્જરિત પુલ બંધ:ડાઈવર્ઝનમાં કરોડોનો ખર્ચ, AAP દ્વારા આંદોલનની ચીમકી
વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કિમ નદી પરનો બ્રિજ જર્જરિત અવસ્થાને કારણે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પુલના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામગીરી શરૂ થઈ નથી. છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન ડાઈવર્ઝન રસ્તા ધોવાઈ જતાં વારંવાર મરામત કરવી પડે છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ, આ મરામતમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. છતાં કાયમી સમાધાન માટે નવા પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું નથી. છેલ્લા ચાર દિવસથી બ્રિજ બંધ હોવાથી નાના વાહનોની અવરજવર અટકી ગઈ છે. ઉબળખાબડ ડાઈવર્ઝન રસ્તો ખરાબ હાલતમાં હોવાથી દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પુલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો સાથે મળીને આંદોલન કરવામાં આવશે.
ફ્લાઇટ ઇન્સ્પેક્શન યુનિટ (FIU) VT-CNS આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે. આ યુનિટ એરપોર્ટ પર નેવિગેશનલ એડ્સ અને વિઝ્યુઅલ લેન્ડિંગ સિસ્ટમ્સની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફ્લાઇટ ઇન્સ્પેક્શન યુનિટ (FIU) શું છે? FIU એ ઉડ્ડયન સત્તાવાળાઓનું એક વિશિષ્ટ એકમ છે. તેમનું મુખ્ય કાર્ય એરપોર્ટ પરના વિવિધ ઉપકરણો, જેમ કે ILS (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) અને PAPI (પ્રિસિઝન એપ્રોચ પાથ ઇન્ડિકેટર) ને કેલિબ્રેટ કરવાનું છે. આ ઉપકરણો વિમાનના સલામત ઉતરાણ અને કાર્યકારી કાર્યક્ષમતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મુખ્ય કાર્યો: નેવિગેશનલ એડ્સ (NAVAIDs) નું ફ્લાઇટ કેલિબ્રેશન: FIU એરપોર્ટ પરના નેવિગેશનલ એઇડ્સની સચોટતા ચકાસવા માટે ફ્લાઇટ નિરીક્ષણ કરે છે. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવું: તે સુનિશ્ચિત કરે છે કે એરપોર્ટ પરની તમામ સિસ્ટમ્સ નાગરિક ઉડ્ડયન નિયમો અને ધોરણોનું પાલન કરે છે. વિમાન જાળવણી અને કામગીરીનું સંચાલન કરવું: આ યુનિટ વિમાનની જાળવણી અને કામગીરી સંબંધિત પાસાઓનું પણ સંચાલન કરે છે. સ્થિતિ માહિતી માટે એરફિલ્ડ સર્વેક્ષણો હાથ ધરવા: FIU એરફિલ્ડની વર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે સર્વેક્ષણો પણ કરે છે. VT-CNS ના આગમનથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડ્ડયન સુરક્ષા અને કાર્યક્ષમતામાં વધુ સુધારો થશે તેવી અપેક્ષા છે.
ન્યુ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીરે ધીરે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. આ એજ્યુકેશન પોલિસીના નિયમ હેઠળનો એક નિયમ કે પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલબેગ ડે રાખવો. આ નિયમની અમલવારી ગુજરાત સરકાર આ શનિવારથી દરેક પ્રાથમિક શાળામાં કરાવવા જઈ રહી છે. ન્યુ એજ્યુકેશન પોલીસીના નો સ્કુલ બેગ ડેના નિયમમાં વાત એવી છે કે, દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા વધુ ધ્યાન ઈતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે. અને આ ઉત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે. જે રીતે ગુજરાત સરકાર આ નવી એજ્યુકેશન પોલીસીના એક બાદ એક નિયમ એ ગુજરાતમાં લાગુ કરી રહી છે તે નિયમો હેઠળનો એક આ નો સ્કૂલબેગ ડેનો નિયમ એ આ શનિવારથી લાગુ થવા જઈ રહ્યો છે.
રાજકોટ શહેરમાં ભારતીય બનાવટની નકલી ચલણી નોટો સાથે SOG પોલીસે એક શખ્સને ઝડપી પાડયો છે. શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં આવેલા ચરખા રેસ્ટોરન્ટ પાસે પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિતેશ દાવડા નામનાં 61 વર્ષિય શખ્સને ઝડપી પાડી તેની પાસેથી રૂ.100 ના દરની 17 નકલી ચલણી નોટો કબ્જે કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આ શખ્સ પોરબંદરનો રહેવાસી અને પત્રકાર હોવાની કબૂલાત આપી હતી. રાજકોટ શહેરના પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સહિતનાએ રાજકોટ શહેર વિસ્તારમાં ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલી છે, ત્યારે એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતો. આ વખતે બાતમીના આધારે રાજકોટની મહાત્મા ગાંધી મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિતેષભાઇ કનુભાઇ દાવડા (ઉ.વ.61, ધંધો પત્રકાર રહે. વાડી પ્લોટ શેરી નં.5 ઉકાભાઈની ઘંટીવાળી શેરી, પોરબંદર) ને ભારતીય બનાવટી (ચલણી) નોટો સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. જેની પાસેથી પોલિસે રૂ.100 ના દરની ભારતીય બનાવટી 17 ચલણી નોટો, રૂ.1,480 ની કિંમતની અલગ અલગ દરની 52 ભારતીય ચલણી નોટો અને રૂ.5000 નો મોબાઇલ મળી રૂ.6480 નો મુદામાલ કબજે કરેલો છે.
સુરત મોટા વરાછામાં કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં 948 કરોડ રૂપિયાના ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગ કૌભાંડમાં પકડાયેલા નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરિયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરિયા, જયદીપ કાનજી પીપળીયા, ભાવિન અરવિંદ હિરપરા, નવનીત ચતુરભાઇ ગેવરિયા, સાહીલ મુકેશ સુવાગીયા, ભાવેશ જીણાભાઇ કિહલા અને બકુલ મગન તરસરીયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડીસ્ટ્રીકટ જજ કે.એમ.સોજીત્રાએ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. 8 આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતીઆરોપીઓ પાસેથી મળેલ બેંકના ખાતાઓની અને પકડાયેલ વેબ સોફ્ટવેર ગેરકાયદે ડેવલપ કરાવી ક્રિકેટ, ફૂટબોલ, કસિનો જેવી ઓનલાઇન ગેમ્સની તપાસ કરીને મોટું કૌભાંડમાં મોટા માથા સંડાવેયાલા હોય તેની તપાસ ચાલુ કરી છે. તપાસનીશ અધિકારીએ નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરિયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરિયા સહિત આઠ આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ગેમિંગ રેકેટ ચલાવામાં આવતું હતુંમુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, મોટા વરાછામાં લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઇઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ગેમિંગ રેકેટ ચલાવામાં આવતું હતું. આરોપીઓ શેરમાર્કેટ ટ્રેડિંગ લગતા Castilo 9, stock grow વેબ સોફ્ટવેર, પ્રતિબંધિત BET FAIR.COM, NEXON, EXCH.COM, PAVANEXCH, ENGLISH999 વગેરે થકી ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ, કસિનો, ફૂટબોલ, ટેનિસ જેવી ગેમ્સ પર ગોરખધંધા કરતા હતા. ઓનલાઇન ગેમિંગના ખેલ કરી મોટી રકમ રોકાણ કરાવતા હતાઆરોપીઓની તપાસમાં 943 કરોડના વેબ સોફ્ટવેર મારફતે અને 4.62 કરોડના બેંક એકાઉન્ટ્સ મારફતે એમ કુલ 948 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોય તેની તપાસ કરવાની છે. વેબ સોફ્ટવેર ડેવલપ કરાવી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી શેરમાર્કેટમાં ટ્રેડિંગ અંગેની જાહેરાતો આપી-અપાવડાવી ગ્રાહકોને આકર્ષતા હતા. USER ID અને પાસવર્ડ ગ્રાહકોને આપી પ્રતિબંધિત સોફ્ટવેર મારફતે શેર તથા ઓનલાઇન ગેમિંગના ખેલ કરી મોટી રકમ રોકાણ કરાવતા હતા. આરોપીઓની સાથે રાખીને ગુજરાત સહિત અન્ય રાજયોમાં ઓનલાઇન ગેમિંગ કૌભાંડ હોય તેની તપાસ કરવાની છે. બ્લેકમનીનો ઉપયોગ કરવાની સુવિધાના નામે ગ્રાહકોને લલચાવતાઆરોપીઓ પાસેથી 19 મોબાઇલ, 4 લેપટોપ, 10 લાખ રોકડા, 2 ઇનવોઇસ ફાઇલ, 13 સિમકાર્ડ, 31 પાસબુક, 87 ચેકબુક, 2 ડેબિટ કાર્ડ, 1 કલર પ્રિન્ટર, 1 પેપર કટિંગ મશીન મળી આવ્યુ હોય તેની તપાસ કરવાની છે. આરોપીઓ પૈકી ભાવિન કિહલા અને બકુલ તલસરિયા સોફ્ટવેર ડેવલપર હોઇ તેઓ સોફ્ટવેરમાં સુધારા-વધારાની સાથે અપડેશનનું પણ કામ કરતા હતા. આરોપીઓ ઊંચા નફાની લાલચ આપીને તેમજ બ્લેકમનીનો ઉપયોગ કરવાની સુવિધાના નામે ગ્રાહકોને લલચાવતા હતા. ટ્રેડિંગમાં કોઇ નુકસાન થતું નથી અને કોઇ ટેક્સ પણ ભરવો પડતો નથી એવું ગ્રાહકો સમક્ષ રટણ કરતા હતા. કોર્ટે 8 આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાઆરોપીઓએ વિદેશમાં રોકાણ છે કે કેમ? આંગડિયાના વ્યવહારો મળ્યા છે, બેંક કીટ ગ્રાહકોને કમિશન આપ્યું છે કે કેમ? સિમકાર્ડ કોના નામે લીધા છે? તેની તપાસ કરવાની છે. આરોપીઓ પાસેથી 250 જેટલાં ગ્રાહકોએ ઓનલાઇન ટ્રેડિંગ-ગેમિંગ કર્યુ હોવાના ડેટા મળી આવ્યો હોય તેની તપાસ કરવાની છે. આરોપીઓની પોલીસ કસ્ટડીમાં રાખીને તપાસ કરવાની હોય રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે 8 આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે આજે મોટી સંખ્યામાં પશુપાલકો અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લાના 500થી વધુ પશુપાલકોએ અમૂલ ડેરીના એમડીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આગામી બે મહિનામાં યોજાનારી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી પહેલા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પશુપાલકોએ અમૂલ ડેરીની વર્તમાન બોડી પર જમીન ખરીદી અને કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા છે. બીજી તરફ આ અંગે અમૂલના એમ.ડી ડૉ.અમિત વ્યાસે જણાવ્યું કે, અમૂલ ડેરીમાં કોઈપણ કામ થતું હોય તો તે વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના તમામે તમામની પરવાનગી હોય અને સર્વ સંમતિથી મંજૂર થયું હોય એ જ કામ નીતિનિયમ હેઠળ થાય છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વીરપુર અને નડિયાદમાં જમીન ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં, કેટલાક ડિરેક્ટરો પર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો મૂકવામાં આવ્યા છે. પશુપાલકોએ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા દૂધ મંડળીઓને ઓડિટના નામે હેરાન કરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર, રાજકીય કિન્નાખોરીથી કેટલીક આદર્શ દૂધ મંડળીઓને 'ક' વર્ગમાં મૂકવાનું ષડયંત્ર રચાયું છે. પશુપાલકોએ આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં નિવાસી અધિક કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે. તેમની મુખ્ય માગણી છે કે અમૂલના નિયામક મંડળની ચૂંટણી સમયસર યોજાય અને ભ્રષ્ટાચારના તમામ આરોપોની તટસ્થ તપાસ થાય. આ વખતે પશુપાલકોના હિતનો ઉમેદવાર જ જીતશે: કેસરીસિંહ સોલંકીખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જણાવે છે કે, ચૂંટણી આવી એટલે વાતો કરવા લાગ્યા કે, કેસરીસિંહ તો કોંગેસમાં જોડાઈ ગયાં અને કોંગ્રેસને ટેકો કર્યો. અરે આ કોઈ ભાજપ-કોંગ્રેસ પક્ષની નથી, આ આ લડાઈ ફકત અને ફકત ખેડૂત અને પશુપાલકોને થઈ રહેલાં અન્યાય સામેની લડાઈ છે. તમે એક બકરી પણ નથી રાખતા અને સત્તામાં બેસવું છે. આ વખતે અમુલમાં બેસી જુઓ, અમે જોઈએ છીએ. હું જાહેરમાં કહું છું કે તમે અમારું લોહી ચૂસીને રૂપિયા ભેગા કરેલા છે. પણ આ વખતે તમારા પૈસા પણ લઈ લઈશું અને આ વખતે પશુપાલકોના હિતનો ઉમેદવાર જીતશે તેવી ખાતરી આપું છું. '25-25 લાખ રૂપિયા લઈને બહારના લોકોને અમૂલમાં નોકરીએ લીધાં'ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભરતસિંહ પરમાર જણાવે છે કે, અગાઉ અમે માંગ કરી હતી કે, લાયકાત ધરાવતાં પશુપાલકોના દિકરા-દિકરીઓને અમૂલમાં નોકરીએ લેવાં, પરંતુ, આ લોકોએ 25-25 લાખ રૂપિયા લઈને બહારના લોકોને નોકરીએ લીધાં. તાજેતરમાં અમૂલના કામ માટે વિરપુર અને નડિયાદમાં જમીનો ખરીદવામાં આવી. એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાં. કોઈ ગામડાનો સારો પ્રતિનિધિ એમનો હરીફ ન બને તે માટે અ વર્ગની મંડળીને ક વર્ગમાં મુકવા માટેનું ષડયંત્ર કર્યું છે. આણંદ જિલ્લા રજીસ્ટાર મનસ્વી વહીવટ કરતાં હોવાનો આક્ષેપઆણંદ જિલ્લા રજીસ્ટારે જિલ્લાની કેટલીક આદર્શ દૂધ મંડળીઓને રાજકીય ટાર્ગેટ કરી ખોટા ઓડીટ રીપોર્ટ તૈયાર કરી, (અ) વર્ગની મંડળીઓને (ક) વર્ગમાં મુકી, મનસ્વી વહીવટ કર્યો હોવાના આક્ષેપ પણ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યાં છે. આવેદનપત્રમાં જણાવેલા મુદ્દા પર ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશુંઆ અંગે અમૂલના એમ.ડી ડૉ.અમિત વ્યાસ જણાવે છે કે, આજે પશુપાલકો તરફથી મને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જે પણ કંઈ મુદ્દા લખ્યા છે, તેની ઉપર ચોક્કસપણે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતે તેઓ જણાવે છે કે, અમૂલ ડેરીમાં કોઈપણ કામ થતું હોય તો તે વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના તમામે તમામની પરવાનગી હોય અને સર્વ સંમતિથી મંજૂર થયું હોય એ જ કામ નીતિનિયમ હેઠળ થાય છે.
બોટાદના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ બેઠકમાં મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. સોરઠીયાએ જણાવ્યું કે, પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેઓ સુધરવા તૈયાર ન થતાં તેમને પક્ષમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે, મકવાણાને જાણ હતી કે, ગોપાલ ઈટાલિયાની જીત બાદ પક્ષ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ કારણે તેમણે અગાઉથી જ રાજીનામું આપી દીધું હતું. બેઠકમાં બોટાદ વિધાનસભા બેઠકની સંભવિત પેટાચૂંટણીની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યકરોએ ચૂંટણી લડવા માટે તત્પરતા દર્શાવી હતી. AAP જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં પણ પોતાના ઉમેદવારો ઉતારશે. આ બેઠકમાં જિલ્લા AAPના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ અને શહેર પ્રમુખ અભિષેકભાઈ સોલંકીની પણ ઉપસ્થિતિ નોંધાઈ હતી.
રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:અક્સ્માત કર્યો છે કહી યુવાનની કારને રોકી રૂ.20 હજાર પડાવી લેતો શખ્સ ઝડપાયો
રાજકોટમાં જીવરાજપાર્કમાં આવેલ કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતાં ભાર્ગવભાઈ હસમુખભાઈ ચાંગેલા (ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેને એમબીએનો અભ્યાસ મેલબોર્ન (ઓસ્ટ્રેલીયા) ખાતે કરેલ છે અને તેઓને યુનિવર્સિટી રોડ પર બાલાજી પાર્ક પ્લોટ નં.16માં ગ્રોકોન એકસપોર્ટ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. ગત તા. 27ના તેમના પત્નીનુ સ્કુટી જે ભકતીનગર ખાતે માધવ ટી.વી.એસ.માં સર્વિસ માટે આપેલ હોય જેથી તેઓ ત્યાં ગયેલ હતાં અને ત્યાંથી દસેક વાગ્યાની આસપાસ તેમની કાર લઈને ઘરે જવા માટે નીકળેલ અને નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટસની બાજુમાં 10.45 વાગ્યાની આસપાસ પહોંચેલ અને આ સર્કલ પાસે ડ્રાઇવર સીટની ડાબી બાજુ દરવાજા પાસે એક ટૂ વ્હિલર ચાલક તેને પહેરેલ કડાથી મુકા મારવા લાગ્યો અને તેના હાથના ઇશારા વડે ગાડી રોકવાનુ જણાવેલ હતું. જેથી તેઓએ ટ્રાફીક હોવાથી સર્કલથી આગળ નાનામવા રોડ પર શિવ ટ્રેડર્સ પાસે ગાડી ઉભી રાખેલ અને તે શખ્સ ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તમે મારા બાઇકમાં તમારી ગાડીનુ એકસીડેન્ટ કરેલ છે, જેથી તેને કહેલ કે, તમારા બાઈકમાં ક્યાં નુકશાન થયેલ છે અને જો એકસીડેન્ટ થયેલ હોય તો મારી કારમાં પણ નુકશાન થયુ હોયને તેમ કહેતાં તે શખ્સે કહેલ કે, આ નાનામવા રોડ મારા બાપનો છે. આ રોડ પર મારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે અને મારા એકટીવામાં ભલે કોઇ નુકસાન થયું નથી તારે મારી સાથે પૈસાનો વહિવટ કરવો જ પડશે તેમ કહીં ઊંચા અવાજે રાડો પાડી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો. ફરિયાદીને જીવનુ જોખમ લાગતા ગભરાઇ ગયેલ અને તે શખ્સને કહેલ કે, મારાથી જાણતા અજાણતા કોઇ ભુલ થઇ ગયેલ હોય તો માફ કરી દો હું નિર્દોષ છું અને મને જવાદો. તો તે શખ્સે કહેલ કે, તારા ગુગલ પે માં કેટલી રકમ છે? તે પહેલાં તું મને બતાવ અને તેના 10 ટકા પૈસા મને આપી દે એટલે જવા દઇશ તો કહેતાં તેને કહેલ કે, ભાઈ ગૂગલ પે ની રકમનુ શું કામ છે તમો 5000-10000 રૂપીયા લઇ મને જવા દો તો ભાઇએ કહેલ કે 5000-10000 માં નહિ પતે રૂ.20 હજાર રૂપીયા આપી દો, જેથી ફરીયાદી ભયભીત થઈ ગાડીમાં રાખેલ રૂ. 20 હજાર તેને આપી દીધેલ હતા. જેથી પોલિસે આરોપી કરણસિંહ મહિપતસિંહ ખેરડીયા (ઉવ.20, રહે. માયાણીનગર શેરી નં.02, ખીજડાવાળો મેઇન રોડ) ને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ.20 હજાર અને ટુ વ્હીલર કબ્જે કર્યું હતું. બાઈક સ્લીપ થતા ઘવાયેલા શિક્ષકનું સારવારમાં મોતરાજકોટ શહેરના એસ્ટ્રોન નાલા પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા ખાનગી શાળાના શિક્ષક અરવિંદભાઈ મણવરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું.બનાવની પ્રાપ્ત વિગત મુજબ અરવિંદભાઈ શિવાભાઈ મણવર (ઉ.વ.63) (રહે.આલાપગ્રીન સિટી, રૈયારોડ, રાજકોટ) ગત તા.26/6/25ના રોજ સવારે 10 વાગ્યે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં. ત્યારે એસ્ટ્રોન નાલા પાસે બાઈક સ્લીપ થઈ જતા માથા-શરીરે ગંભીર ઈજા થઈ હતી.તેઓને તત્કાલ 108માં હોસ્પિટલે ખસેડાયા હતા.જયાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે એ.ડીવીઝન પોલીસને જાણ થતા મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. પરિવારજનો પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અરવિંદભાઈ શિક્ષક હતા.તેઓ ધ ડીવાઈન સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.તેઓ 3 ભાઈ અને 1 બહેનમાં વચ્ચેના હતા.તેમને સંતાનમાં એક દિકરી છે.બનાવના દીવસે અરવિંદભાઈના મિત્રએ મકાન લીધુ હોય તેનો વેચાણ દસ્તાવેજ નોંધણી કરવાનો હોય, જેમાં અરવિંદભાઈ જામીન તરીકે હાજર રહેવાના હોવાથી તેઓ ડી.એચ.કોલેજ કેમ્પસમાં આવેલી રજીસ્ટાર ઓફિસે જતા હતા.ત્યારે આ બનાવ બન્યો હતો. ટીપરવાન ચાલકને 3 શખ્સોએ માર માર્યોરાજકોટ શહેરમાં ગાડી મોરે મોરો ચલાવવાની બાબતમાં બબાલ થઈ ગઈ હતી. ત્રિવેણીનગરમાં મનપાની ટીપરવાનના ચાલક પર ધોકા વડે હુમલો થયો હતો. ચાલકનો હાથ ભાંગી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ગુરુપ્રસાદ ચોક ખાતે આવેલ વોર્ડ ઓફિસથી કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. માર મારવામાં ત્રણ લોકો સામેલ હતા. જેમની સામે ગુનો નોંધવા તજવીજ થઈ રહી છે. અલ્કેશ રમેશભાઈ શિંગાળીયા (ઉ.વ.19, રહે. કોઠારીયા મેઈન રોડ, મૂળ દાહોદ) આજે સવારના 8 વાગ્યે પોતે કચરાની ગાડી લઈને જતા હતા ત્યારે કચરો ભરવા ગયા ત્યારે ત્રિવેણીનગર ગુરુપ્રસાદ ચોક પાસે શેરી નંબર 3 માં સામેવાળા અજાણ્યા માણસોએ ઝઘડો કરીને ધોકા વડે માર માર્યો હતો. અલ્કેશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.તેણે જણાવ્યું કે, આજે સવારે તેઓ જ્યારે ટીપરવાન લઈને ત્રિવેણીનગર ગુરુપ્રસાદ ચોક પાસે શેરી નંબર 3 માં ગયા હતા ત્યારે એક વ્યક્તિ સ્કૂટર ઉપર પોતાના બાળકને લઈને નીકળ્યો હતો. શેરીમાં ટીપરવાન ઉભી રખાવી તેણે કહ્યું કે કેમ મારી સામે શેરીમાં મોરે મોરો ગાડી આવવા દીધી. ચાલક અલ્કેશે કહ્યું કે હું તો સાવ ધીમે ગાડી ચલાવું છું. દરમિયાન ત્રણ વ્યક્તિ હાજર હતા અને અલ્કેશને ધોકા વડે બેફામ માર માર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. મારના કારણે અલ્કેશ જમીન પર પડી ગયો હતો. તેનો નાનો 5 વર્ષનો પુત્ર અને પત્ની સાથે હોય તેઓ ડરી ગયા હતા.તુરંત ગુરુપ્રસાદ ચોકમાં આવેલ વોર્ડ ઓફિસમાં જાણ કરી હતી. જેથી અન્ય કર્મચારીઓ ધર્મેન્દ્ર સોલંકી સહિતના દોડી ગયા હતા અને વધુ મારથી અલ્કેશને બચાવ્યો હતો. માલવિયાનગર પોલીસે નિવેદન નોંધી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. પાર્કિંગમાં ચાવી સાથે રાખેલા ટુ વ્હીલરને ટાર્ગેટ બનાવતો સગીર ઝડપાયોજામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામેથી ક્રાઈમ બ્રાન્ચે ચોરાઉ એક્ટિવા સાથે સગીરની ધરપકડ કરી ત્રણ એકટીવા ચોરીનો ભેદ ઉકેલ રૂપિયા 86,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ બાઈક તાલુકા, બી.ડિવિઝન અને થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે ઊભેલા શંકાસ્પદ સગીરને અટકમાં લઈ તેની પાસે રહેલ એકટીવાના નંબર પોકેટ એપમાં સર્ચ કરતા તે ચોરાઉ હોવાનું ખુલતા પોલીસે પૂછપરછ કરતા આરોપીએ તાલુકા, થોરાળા અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એકટીવાની ચોરી કાર્યની કબુલાત આપી હતી.ક્રાઈમ બ્રાન્ચે રૂ.86 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મોડી રાત્રીના સમયે સોસાયટીના રહેણાંક મકાનના પાર્કીંગમાં/ ફળીયામાં રેકી કરી જે બાઈકની ચાવી અંદર હોય તે મકાનનો ગેઈટ અથવા દીવાલ કુદી મકાનના પાર્કીંગમાં / ફળીયામાં પ્રવેશ કરી અંદરથી ગેઈટ ખોલી બાઈકની ચોરી કરતો હતો. રસોઈ બનાવતી વખતે દાઝી ગયેલી યુવતીનું સારવારમાં મોતસુરેન્દ્રનગરમાં રસોઈ બનાવતી વખતે દાઝી ગયેલી 22 વર્ષીય દક્ષાબેનનું સારવારમાં મોત થયું હતું. ગત તા. 14 એપ્રિલથી દક્ષા વાળોદરા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. ગઈકાલે સાંજે દમ તોડી દેતા પરિવારમાં. શોક છવાયો હતો. આ અંગે મળતી વિગત અનુસાર, દક્ષાબેન ઠાકરશીભાઈ વાળોદરા (ઉ. વ. 22, રહે. રતનપર એરીયા, મ્યુનિસિપલ ક્વાર્ટર, વાલ્મિકી વાસ, જોરાવરનગર, સુરેન્દ્રનગર) ગત તા.14/4/2025ના રોજ પોતાના ઘરે હતી ત્યારે ચુલા પર રસોઈ બનાવતી હતી ત્યારે કોઈ કારણોસર ચુલાની જાળ કપડામાં અડી જતા શરીરે દાઝી ગઈ હતી.
અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીની અધ્યક્ષ તરીકે ચાર વર્ષ માટે પુનઃવરણી કરવામાં આવી. સંસ્થાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. મૂળરાજસિંહ ચુડાસમા માનદ મહામંત્રી તરીકે ચૂંટાયા. પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત અને ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી થઈ. સંદીપ દેસાઈને હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ બનાવાયા. અંકિત પટેલને માનદ ખજાનચી તરીકે નિયુક્ત કરાયા. 2024-25 દરમિયાન સંસ્થાએ 26 ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આ ટુર્નામેન્ટમાં 1168 મેચ રમાઈ અને 6468 ગોલ નોંધાયા. ગુજરાતમાં 7400 સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4836 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓને એવોર્ડથી સન્માનિત કરાયા. અમદાવાદને સૌથી વધુ ખેલાડી નોંધણી માટે, સુરતને ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ આયોજન માટે અને રાજકોટને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ મળ્યો. ભાવનગરને બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ એનાયત થયો. એ.આર.એ. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરાને સંયુક્ત રીતે બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સનો એવોર્ડ અપાયો.
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ઇયળોના ઉપદ્રવે લોકોની મુશ્કેલીઓ વધારી છે. કરણધાર વિસ્તારમાં વરસાદ અને ગરમીના કારણે ઉત્પન્ન થયેલા બફારામાં જમીનમાંથી મોટી સંખ્યામાં ઇયળો બહાર નીકળી આવી છે. લાલ રંગની ઇયળોના ઢગલા ઘરોમાં જોવા મળી રહ્યા છે. નાના બાળકો ધરાવતા પરિવારો વિશેષ ચિંતામાં છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ ફોલ આર્મી વોર્મની ઇયળો ચારથી પાંચ વખત નિર્મોચન કરે છે. તેમની પાંચથી છ અવસ્થાઓ જોવા મળે છે. પ્રારંભિક અવસ્થામાં ઇયળો લીલાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. તેમના શરીર પર ભૂખરા રંગના ટપકાંની પાંચ હાર હોય છે. પૂર્ણ વિકસિત ઇયળની લંબાઈ 40-45 મિલીમીટર અને પહોળાઈ 5-6 મિલીમીટર હોય છે. તેમના માથા અને પક્ષના પ્રથમ ખંડ પર અંગ્રેજી 'Y' આકારની સફેદ નિશાની સ્પષ્ટ દેખાય છે. આ પરિસ્થિતિ જાહેર આરોગ્ય માટે જોખમી બની શકે છે.
સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરાયેલા 943.37 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના રેકેટની તપાસમાં હવે તેજ ગતિ આવી છે. SOGએ આ કેસમાં મોટી કાર્યવાહી કરતા સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને સમગ્ર રેકેટના કાર્યપ્રણાલી સંબંધિત પુરાવા પ્રસ્તુત કર્યા. આ પુરાવાઓના આધારે કોર્ટે મુખ્ય આરોપીઓની 5 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. SOGના પોલીસ ઈન્સ્પેક્ટર અતુલ સોનારાએ માહિતી આપી કે, આ કેસના એક આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મિર્ઝાપુરથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને હવે તેને સુરત લાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પૂછપરછ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેનાથી રેકેટમાં સામેલ અન્ય લોકો અને તેઓ આટલા લાંબા સમયથી આ નેટવર્ક કેવી રીતે ચલાવી રહ્યા હતા તે અંગે ખુલાસો થશે. ગેંગ છેલ્લા 10 વર્ષથી સક્રિય હતીપોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી 'સનરાઈઝ ડેવલપર્સ' નામની કન્સ્ટ્રક્શન ફર્મની આડમાં તેને મોટા પાયે સંગઠિત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા અને વિશાલ ગેવરિયાને આ નેટવર્કના માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવ્યા છે, જેમણે ઉચ્ચ વળતર અને ટેક્સ-ફ્રી આવકની લાલચ આપીને રોકાણકારોને ફસાવ્યા હતા. હવે પોલીસ તેમની પાસેથી પૈસાની લેવડદેવડ કયા માધ્યમોથી થતી હતી, કઈ કંપનીઓ કે દલાલોનો ઉપયોગ થતો હતો અને દેશ-વિદેશમાં કેટલી બેંક ખાતાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ આના દ્વારા સક્રિય હતા તે જાણવાનો પ્રયાસ કરશે. ફરાર આરોપીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા મુખ્ય નામ છે. SOG દ્વારા આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા 19 મોબાઈલ, 4 લેપટોપ, 87 ચેકબુક, 31 પાસબુક અને 10 લાખ રોકડા, પુરાવા નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી પેપર કટિંગ મશીન અને અન્ય દસ્તાવેજો તપાસમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. SOG હવે આરોપીઓ પાસેથી આ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે ડબ્બા ટ્રેડિંગ શેરબજારનું એક ગેરકાયદેસર સ્વરૂપ છે જેને SEBIની પરવાનગી વિના ચલાવવું દંડનીય અપરાધ છે. આ કેસ 943 કરોડ રૂપિયાનો છે અને તેમાં લાઇસન્સ વિના ટ્રેડિંગ થયું છે, તેથી SEBIનો રિપોર્ટ અને ભલામણ રેકેટના કાનૂની પાસાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેનાથી એ પણ જાણી શકાશે કે આ પૈસા મની લોન્ડરિંગ કે હવાલા દ્વારા તો વિદેશમાં નથી ગયા. મિર્ઝાપુરથી અમદાવાદ, પછી સુરતએક આરોપી જે લાંબા સમયથી ફરાર હતો, તેને મિર્ઝાપુર (યુપી) થી પકડવામાં આવ્યો અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પહેલા અમદાવાદ અને પછી સુરત લાવવામાં આવ્યો. આ વ્યક્તિને નેટવર્કનો જૂનો ઓપરેટર માનવામાં આવે છે જે સોફ્ટવેર, બેંકિંગ ચેનલો અને ગ્રાહક સંવાદની જવાબદારી સંભાળતો હતો. પોલીસને તેનાથી ઘણા જૂના રોકાણકારો અને જૂના ટ્રાન્ઝેક્શન્સ વિશે માહિતી મળવાની આશા છે. સનરાઈઝ ડેવલપર્સની હકીકત'સનરાઈઝ ડેવલપર્સ' નામની કન્સ્ટ્રક્શન ફર્મની આડમાં ચાલતો આ કાળો કારોબાર ખરેખર નકલી ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. અહીં કર્મચારીઓને કોલર તરીકે બેસાડવામાં આવતા હતા અને રોકાણકારો સાથે ફોન કે વોટ્સએપ પર સંપર્ક કરવામાં આવતો હતો. કાગળો, રોકડ વ્યવહાર અને નકલી ચેકબુક્સને ઓફિસની અંદર જ એક પેપર કટર મશીન વડે નષ્ટ કરવામાં આવતા હતા જેથી કોઈ પુરાવા ન રહે.
કેવડિયા સરકારી શાળાની બિલ્ડિંગ માટે માગ:2017થી તૂટેલી શાળાનું નવું બાંધકામ કરવા ABVPની રજૂઆત
નર્મદા જિલ્લાના કેવડિયામાં સરકારી માધ્યમિક શાળાની નવી બિલ્ડિંગ બનાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. ABVPએ જણાવ્યું કે ગરુડેશ્વર તાલુકાની આ શાળાની જૂની ઇમારત 2017માં તોડી નાખવામાં આવી હતી. છ વર્ષ વીતવા છતાં નવી ઇમારતનું બાંધકામ શરૂ થયું નથી. હાલમાં શાળા ભાડાની ઇમારતમાં ચાલે છે. વિદ્યાર્થીઓને પૂરતા વર્ગખંડો અને માળખાકીય સુવિધાઓનો અભાવ છે. યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ન હોવાથી અભ્યાસ પર વિપરીત અસર થઈ રહી છે. ABVPએ ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે. નવી બિલ્ડિંગ માટે તાત્કાલિક મંજૂરી આપવી, યોગ્ય જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવું બાંધકામ શરૂ કરવું અને વિદ્યાર્થીઓ માટે પૂરતી શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવી.
ગોધરાની ફાર્મા કંપનીમાં ATSનો દરોડો:શંકાસ્પદ દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા
ગોધરાના વેજલપુર રોડ પર ચિખોદરા પાસે આવેલી ગુજરાત ફાર્માસ્યુટિકલ કંપનીમાં એટીએસની ટીમે આજે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ દવાઓના ઉત્પાદનની તપાસ માટે એટીએસની ટીમે કંપનીમાં દરોડો પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કંપની કેપ્સ્યુલનું ઉત્પાદન કરે છે. એટીએસની ટીમે તપાસ દરમિયાન કેટલીક દવાઓના સેમ્પલ એકત્ર કર્યા છે, જેને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કંપની અગાઉ પણ નકલી દવાઓ બનાવવાના મામલે ચર્ચામાં આવી હતી. એટીએસની કાર્યવાહી દરમિયાન કંપનીમાંથી મળેલા દવાઓના સેમ્પલની લેબોરેટરી તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
સુરત શહેરમાં ચોમાસાના વરસાદી પાણી ઓસર્યા બાદ સુરત શહેરમાં ઠેર ઠેર તૂટી ગયેલા રસ્તાઓના દ્રશ્યો સામે આવતા, મહાનગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ, શહેરના માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે, 198 કરોડના જંગી ખર્ચે 118 નવા રસ્તાઓનું નિર્માણ અને તૂટી ગયેલા રસ્તાઓના રિ-કાર્પેટિંગ માટે શાસકો સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામગીરી દિવાળી પહેલાં શરૂ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઝોન વાઈઝ ખર્ચ અને મુખ્ય રસ્તાઓપ્રાથમિક અંદાજ મુજબ, માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ 12 રસ્તાઓના નવીનીકરણ માટે 50 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2018માં બનેલો અને લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલો હજીરા-સાયણ રોડ, જે શહેરના મહત્વના કનેક્ટિવિટી રોડ પૈકી એક છે, તેને સિમેન્ટ કોંક્રિટમાં તબદીલ કરવા માટે 13 કરોડ ખર્ચવામાં આવશે. આ રોડના નવીનીકરણથી હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળશે. પાલિકા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વરસાદ બંધ થતાની સાથે જ ખાડા પુરવા અને તૂટી ગયેલી ટ્રેન્ચનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. આ સાથે જ, 118 રસ્તાઓના નિર્માણ માટે અત્યારથી જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ 118 રસ્તાઓમાં હજીરા-સાયણ રોડ ઉપરાંત જહાંગીરપુરાના MV સર્કલથી નિરવાણા શોપર્સ સુધીનો રસ્તો, જહાંગીરપુરા કેનાલ રોડ અને બંસીધર સોસાયટીથી આઉટર રિંગરોડ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે. આગામી બેઠકમાં મહત્વનો નિર્ણયઆ સમગ્ર પ્રોજેક્ટ માટે 198 કરોડના ખર્ચના અંદાજ સાથે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આગામી 3જી જુલાઈના રોજ મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આ રસ્તા નિર્માણના ખર્ચ અંદાજની મંજૂરી પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. મંજૂરી મળતાની સાથે જ, દિવાળી પહેલાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, જેથી શહેરના નાગરિકોને સુવિધાજનક અને સલામત માર્ગોનો લાભ મળી શકે.આ મેગા પ્રોજેક્ટ સુરતના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને શહેરના વિકાસને નવી ગતિ આપશે.
શહેરમાં રખડતા પશુઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ઢોર નિયંત્રણ પોલીસે અમલમાં લાવવામાં આવી છે જે અંતર્ગત હવે પશુઓ રોડ ઉપર રાખી શકાશે નહીં પશુ રાખવા માટે લાઇસન્સ રાખવા ફરજીયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો ઉપર પશુઓને રાખવાની જગ્યા અને લાયસન્સ અંગે તપાસ કરવામાં આવી હતી. ખાડીયા, ગોતા, સાયન્સ સીટી, ભાડજ, નિકોલ, નરોડા, ઘાટલોડીયા, સાબરમતી, ચાંદખેડા, રાણીપ, કાળીગામ અને વાડજ વગેરે વિસ્તારમાં પશુઓ રખડતા મુકવા સહિતની શરત ભંગ કરવામાં આવી હતી. જેથી પશુમાલિકે 25 કેટલા પશુ માલિકના લાયસન્સ અને રજીસ્ટ્રેશન રદ કરવાની નોટિસ આપવામાં આવી છે. સૌથી વધારે શહેરના ચાંદખેડા, રાણીપ, નવાવાડજ, કાળીગામ, મોટેરા, સાબરમતી, સૈજપુર, કુબેરનગર, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. એસ.પી.રીંગ રોડને અડીને આવેલા વિસ્તારો જેવા કે ભાડજ, હેબતપુર, ચિલોડા, અસલાલી, રામોલ, કઠવાડા, ગેરત નગર, છારોડી, ઓગણજ વિગેરે એરીયામાં સઘન ચકાસણી કરવામાં આવી છે. શહેરના હંસપુરા, દહેગામ રોડ, નરોડા, ઘાટલોડિયા, વાડજ, વટવા, ઇસનપુર, ભાડજ, સાયન્સ સિટી, રાણીપ, કેશવનગર, નિર્ણય નગર, ચાંદખેડા, અમરાઇવાડી, ભાઈપુરા, ગોતા, સરદારનગર વિસ્તારોમાં સર્ચ તપાસ, ફૂટપેટ્રોલિંગ કરી પોલીસ મદદથી 38 પશુઓ પકડવામાં આવ્યા છે. નાગરિકો તરફથી મળતી રોજની CCRS ફરીયાદ, ડેશકેમ/ CCTV ઇમેજ તથા રાઉન્ડ દરમ્યાન અલગ અલગ સ્થળો પરથી 88 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. પશુઓની નોંધણી કરાવવામાં આવી હતી પરંતુ લાઇસન્સ / પરમીટ લીધેલ ન હોય તેવા પશુ દંડ ભરી પરત આપવામાં આવતા નથી, પરંતુ તેનુ પશુ રખડતુ મૂકતા પકડાયેલા હોય તેવા 8 પશુમાલિકોની ઓળખ કરી નોટીસ ઇસ્યુ કરવામા આવી છે.
સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમે આજે સુરતથી પ્રસ્થાન કર્યું છે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે. આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મિશન લાઇફ'થી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે. આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઇવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે. આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે. આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાંઇનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાનનો સમાવેશ થાય છે. આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે. હેનિલ નિર્બાને આ તબક્કે કહ્યું હતું કે હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એજ મારી જવાબદારી છે. પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે. ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી પણ ભવિષ્યની પેઢી માટે આપણું વારસો છે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ આવતીકાલ માટે છે. આ ભવ્ય આયોજનને એસ આર કે ગ્રૂપ, ગોલ્ડી સોલર, લુથરા ગ્રૂપ, લેન્ડમાર્ક ગ્રૂપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓના સમર્થનથી આ રાઇડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે. આ રાઇડ ન માત્ર ઇલેકિટ્રક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતીક પણ બનશે. આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે, અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે.
મોરબીમાં બાઇક ચોરીનો આરોપી ઝડપાયો:70 હજારની કિંમતના બે ચોરાઉ બાઇક સાથે શંકાસ્પદ શખ્સ પકડાયો
મોરબી એલસીબીની ટીમે ખાખરેચી દરવાજા પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈ જતા એક શખ્સને પકડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપી પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા છે. એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા નજીક એક શખ્સ શંકાસ્પદ રીતે બાઇક લઈને જતો હતો. પોલીસે તેને રોકીને પૂછપરછ કરતા તેની પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા. આરોપીની ઓળખ મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા તરીકે થઈ છે. તે કાલીકા પ્લોટ, મોરબીનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી કુલ 70 હજાર રૂપિયાની કિંમતના બે બાઇક કબ્જે કર્યા છે. આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી સામે અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે.
ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ડાંગ જિલ્લામાં આજથી 15 જુલાઈ સુધી તમામ આદિજાતિ ગામોમાં ક્લસ્ટર આધારિત અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વઘઇ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલના અધ્યક્ષ સ્થાને બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. વઘઇ તાલુકાના વઘઇ, ચીચીનાગાવઠા, ભેંડમાળ, દગડીઆંબા અને ડુંગરડા ગ્રામ પંચાયતના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના અને જનધન એકાઉન્ટ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો. નવા અરજદારોની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ એમ. ગાવિત, મામલતદાર પી.કે.પટેલ અને તાલુકા વિકાસ અધિકારી સી.આર.પઢીયાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો તમે રાજકોટનાં નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહેજો! નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીની એક શાખા ગ્રાહકોને વાસી અને એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ્સ વેચવા બદલ વિવાદમાં આવી છે. આ ઘટનાએ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઈ હતી. અને બેકરીમાં રહેલી તમામ વસ્તુઓની તપાસ કરી એક્સપયારી ડેટવાળી વસ્તુઓ વેચવા બદલ નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સ્થળોએથી લીધેલા નમૂનામાંથી 7 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ. 1.96 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારે 799 રૂપિયાની કેક ખરીદી હતી. જોકે, ગ્રાહક ઘરે કેક લઈ ગયા ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી અને તે વાસી હોવાનું જણાયું હતું. આ અંગે ગ્રાહકે તાત્કાલિક અતુલ બેકરીનો સંપર્ક કર્યો અને કેક પરત આપી. બેકરી સંચાલક દ્વારા કેકના બદલામાં ગ્રાહકને અન્ય પ્રોડક્ટ, ચોકો પૉપના પેકેટ આપવામાં આવ્યા. પરંતુ, આ ચોકો પૉપના પેકેટ પણ એક્સપાયરી ડેટવાળા હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહક જયદેવભાઈનાં જણાવ્યા મુજબ, જ્યારે નાણાં પરત માંગ્યા, ત્યારે તેમને ઉદ્ધતાઈપૂર્વકનો જવાબ મળ્યો હતો. આ સમગ્ર ઘટનાથી નારાજ થઈને પોતે વાસી કેક અને એક્સપાયરી ડેટવાળા ચોકો પૉપના પેકેટનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગ્રાહકને કેવી રીતે વાસી અને મુદત વીતી ગઈ હોય તેવી વસ્તુઓ પધરાવવામાં આવી રહી હતી. આ ગંભીર મુદ્દે ગ્રાહક જયદેવે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં અતુલ બેકરીના સંચાલક રાજેશભાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહક કેક લઈ ગયા હતા તે ખરાબ હોવાનું કહેતા તરત પરત લઈ લીધી છે. જોકે તેઓ જે ચોકોપોપ લઈ ગયા તે શરતચુકથી અને ઉતાવળમાં એક્સપાયર થઈ ચૂકેલા હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. અને ગ્રાહકને નાણાં પરત આપી દીધા હોવાનો બચાવ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવેલી તમામ અતુલ બેકરીની શાખાઓમાં હાલ ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને નાણાવટી ચોક ખાતે આવેલી શાખામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જેટલો પણ અખાધ્ય (ખાવાલાયક ન હોય તેવો) જથ્થો ઝડપાશે, તેનો તાત્કાલિક અસરથી સ્થળ પર નાશ કરવામાં આવશે. આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું કે, એક્સપાયર થઈ ગયેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી ઝાડા, ઉલટી, અને પેટના ગંભીર રોગો થવાની શક્યતા રહે છે. આથી, અતુલ બેકરી ખાતે જુદા જુદા ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા છે, જે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે ગ્રાહકોએ કેટલી સાવધાની રાખવી જોઈએ. કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ચોક્કસપણે તપાસી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકોએ ખાસ કરીને બેકરી પ્રોડક્ટ્સ જેવી કે કેક, બ્રેડ, અને અન્ય નાસ્તાની વસ્તુઓ ખરીદતી વખતે તાજગી અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. જો આવી કોઈ ઘટના તમારી સાથે બને, તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાનો અને ફરિયાદ નોંધાવવાની અપીલ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. આશા છે કે, આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે, જેમાં 7 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં કુલ 1,96,000/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની વિગતવાર માહિતી અજેન્દ્ર ડેરી ફાર્મ: સોરઠીયાવાડી ખાતેથી લેવાયેલ પનીર (લુઝ) ના નમૂનામાં ભેળસેળ જણાતા 1,00,000/- રૂપિયાનો દંડ. હિરવા હેલ્થ કેર: ગાંધીગ્રામ ખાતેથી લેવાયેલ MVHIR NUTRITIONAL FOOD SUPPLEMENT (10 TAB. PACKED) ના નમૂનામાં અનધિકૃત તત્વ મળી આવતા 42,000/- રૂપિયાનો દંડ. રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ: 150 ફૂટ રિંગ રોડ પરથી લેવાયેલ મંચુરિયન ફ્રાઈડ (પ્રિપેર્ડ-લુઝ) માં સિન્થેટિક ફૂડ કલરની હાજરી બદલ 20,000/- રૂપિયાનો દંડ. રાધે કેટરર્સ: રૈયા રોડ પરથી લેવાયેલ ફરાળી લોટ-ફરાળી પેટીશ માટેનો (લુઝ) માં મકાઈના સ્ટાર્ચની હાજરી બદલ 10,000/- રૂપિયાનો દંડ. શ્રી ખોડિયાર ડેરી ફાર્મ નમકીન: પુષ્કરધામ રોડ પરથી લેવાયેલ મિક્સ દૂધ (લુઝ) માં વેજીટેબલ ઓઈલ અને ઓછું SNF પ્રમાણ જણાતા 10,000/- રૂપિયાનો દંડ. પ્રકાશ સ્ટોર્સ (2 કેસ): નવા નાકા રોડ પરથી લેવાયેલ નંદા મુખવાસ-હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ) અને ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ) બંનેમાં વધુ સિન્થેટિક ફૂડ કલરની માત્રા બદલ પ્રત્યેક કેસમાં 7,000/- રૂપિયા, એમ કુલ 14,000/- રૂપિયાનો દંડ. આ ઉપરાંત, ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા (રામકૃષ્ણ રોડ, રાજકોટ) પાસેથી મીઠી ચટણી (લુઝ) અને નમકીન ઘૂઘરા (પ્રિપેર્ડ-લુઝ) ના નમૂના લેવાયા હતા. પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી., c/o ધ ગ્રાન્ડ રિજન્સી (ઢેબર રોડ, રાજકોટ) પાસેથી પનીર અંગારા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) અને ચોળી મસાલા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) ના નમૂના પણ લેવામાં આવ્યા હતા.
અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા પોલીસને અનેક વિસ્તારમાં ડ્રાઇવ ચાલી રહી છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાંથી SOGએ બાતમીના આધારે બાંગ્લાદેશી મહિલા અને તેના બાળકોની અટકાયત કરી છે. આ મહિલા કેટલા સમયથી અહીંયા રહેતી હતી અને શું કામ કરતી હતી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. Sog ક્રાઈમે બાતમીના આધારે નારોલ પીરાણા ઢગલા પાસેથી અફસાના શેખ નામની શંકાસ્પદ મહિલાની 4 બાળકો સાથે અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરી ત્યારે આ મહિલા પાસેથી ભારતીય હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. તપાસ દરમિયાન મહિલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. મહિલા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અમદાવાદ આવીને રહેતી હતી. SOGએ મહિલાની બાળકો સાથે ધરપકડ કરી છે. મહિલા કેટલા સમયથી હતી, કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતી હતી કે કેમ તે મામલે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં એક કિસ્સામાં આર્થિક રીતે ભાંગી પડેલા પતિ દ્વારા પત્ની પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતા, 181 અભયમ ટીમે પીડિત મહિલાની વહારે આવીને પરિવારમાં સુમેળભર્યું સમાધાન કરાવ્યું હતું. અને 20 વર્ષના દામ્પત્ય જીવનમાં આવેલા આ ખટરાગનો સુખદ અંત લાવવામાં 181 અભયમ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના એક દંપતીના 20 વર્ષના સુખી લગ્નજીવનમાં પતિને ધંધામાં મોટી ખોટ જતાં આર્થિક સંકડામણ આવી પડી હતી. આર્થિક નુકશાનીને કારણે પતિ માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો અને તેની અસર પત્ની અને બે દીકરીઓ પર વર્તાવા લાગી હતી. પતિએ પત્નીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે પત્નીના તમામ ઘરેણાં પણ પોતાના કબજામાં લઈ લીધા હતા. ઘર ખર્ચ માટે પૈસા માંગવામાં આવે કે દીકરીઓની કોલેજ ફી ભરવાની વાત આવે ત્યારે પતિ વધુ ત્રાસ આપતો હતો, જેના કારણે દીકરીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી હતી. પતિ દ્વારા થતા અસહ્ય ત્રાસથી કંટાળીને પીડિત મહિલાએ મદદ માટે હાથ લંબાવતા તેમને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે કાર્યરત 181 અભયમ ટીમ વિશે જાણ થતાં, તેમણે તાત્કાલિક અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી. કોલ મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર સુમિતાબેન પરમાર, કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ દર્શિતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પીડિત મહિલા સાથે વાતચીત કરી, તેમને સાંત્વના આપી અને તેમની આપવીતી ધ્યાનપૂર્વક સાંભળી હતી. મહિલાએ જણાવ્યું કે, તેમના પતિને ધંધામાં ખોટ ગઈ હોવાથી દેવું વધી ગયું છે અને તેઓ તેમના ઘરેણાં પાછા માંગે કે ઘર ખર્ચના પૈસા માંગે ત્યારે ત્રાસ આપે છે. દીકરીઓની કોલેજ ફી ન ભરાતા તેમના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અભયમ ટીમે ત્યારબાદ પતિ સાથે વાતચીત કરી અને તેમનું કાઉન્સિલિંગ કર્યું. તેમણે પતિને બાળકોના ભવિષ્ય વિશે વિચારવા અને એક પતિ તરીકેની તેમની ફરજો વિશે સમજાવ્યું. આ સાથે, તેમને કાયદાકીય માર્ગદર્શન આપી ભવિષ્યમાં આવા કૃત્યોના દુરોગામી પરિણામો અંગે ચેતવવામાં આવ્યા હતા. અભયમ ટીમના પ્રયાસોથી પતિ, પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું. પીડિત મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને પત્ની તથા બાળકો પ્રત્યેની પોતાની તમામ જવાબદારીઓ નિભાવવાની બાંહેધરી આપી હતી. આ પ્રેરણારૂપ કિસ્સામાં 20 વર્ષના દામ્પત્ય જીવનમાં આવેલી કડવાશનો અંત સુખદ અને સુમેળ ભર્યો આવતા ફરી એકવાર 181 અભયમ હેલ્પલાઇન સાચા અર્થમાં સાર્થક બની હતી.
PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ:436 રૂપિયાના પ્રીમિયમ સામે બનાસકાંઠાના ખેડૂત પરિવારને 2 લાખની સહાય
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા-ઢોળીયા ગામના ખેડૂત પ્રભુજી સોલંકીના પરિવારને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળ્યો છે. પ્રભુજી સોલંકીનું 18 માર્ચ 2025ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે અવસાન થયું હતું. વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમથી 2 લાખનો જીવન વીમો ધરાવતા પ્રભુજીના પુત્ર કિશનજી સોલંકીએ વીમા દાવો નોંધાવ્યો હતો. બેંક ઓફ બરોડા, ઇકબાલગઢ શાખા અને ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની ઝડપી કાર્યવાહીથી થોડા દિવસોમાં જ વીમાની રકમ ચૂકવાઈ. જિલ્લા લીડ બેંક મેનેજર હેમંત ગાંધીએ લોકોને ગ્રામ પંચાયત શિબિરો કે બેંકમાં જઈને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રી-કેવાયસીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 18થી 50 વર્ષના બેંક ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કુદરતી કે અકસ્માત મૃત્યુના કિસ્સામાં વારસદારને વીમાનો લાભ મળે છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરાયેલી આ યોજનાએ અનેક પરિવારોને મુશ્કેલ સમયમાં આધાર પૂરો પાડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધાંધલપુર રોડ પર આવેલા ટીટોડા પુલ પાસે પવનચક્કીના પાંખિયા લઈ જતી ટ્રક નદીમાં ખાબકી છે. ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પુલની રેલિંગ તોડીને ભોગાવો નદીમાં પડ્યું છે. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા પુલ પર એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેલર ચાલકની બેદરકારી સામે આવી છે.
તાપીના ઇન્દુ ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાનનો પ્રારંભ, 25થી વધુ લોકોએ લીધો લાભડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શીયલ સર્વિસ (DFS)ના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી નાણાંકીય સાક્ષરતા અભિયાન શરૂ થયું છે. આ અભિયાન 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણા મંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદથી આ અભિયાનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગ્રામ પંચાયત ખાતે 'સંતૃપ્તિ અભિયાન' યોજાયું. ગામના સરપંચ સુનીતાબેન સંજયભાઈએ જણાવ્યું કે આ અભિયાનથી ગ્રામજનોને ઘરઆંગણે બેંકિંગ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ મળશે. લીડ બેંક મેનેજર રસિક જેઠવાએ દરેક ગ્રામ પંચાયતમાં અભિયાનનો વ્યાપ વધારવા અપીલ કરી. નાબાર્ડના ડીડીએમ ઉત્કર્શ દેશમુખે લોકોને પ્રધાનમંત્રી જીવન જ્યોતી બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં જોડાવા જણાવ્યું. બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર સુબોધ પંજિયારાએ ખાતા ખોલવા અને CKYC પ્રક્રિયા માટે બેંકની તત્પરતા દર્શાવી. કાર્યક્રમમાં આરસેટીના ડિરેક્ટર કિરણ સાતપુતે, ભરતસિંહ, તલાટી રાજુભાઈ મહલે, FLCCના અનિલ ગામીત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. કેમ્પમાં 25થી વધુ લોકોએ બેંકની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો. કલકવા ગામે 29 લોકોને નવા જોબકાર્ડ અપાયાતાપી જિલ્લામાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિયા ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 369 ગામોમાં વિવિધ સેવાના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ડોલવણ તાલુકાના કલકવા ગામમાં યોજાયેલા વિશેષ જનભાગીદારી કેમ્પમાં સરકારના વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી આપવામાં આવી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ 29 લાભાર્થીઓને સ્થળ પર જ નવા જોબ કાર્ડ આપવામાં આવ્યા.લાભાર્થીઓએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો છે. આ અભિયાન 30 જૂનથી 15 જુલાઈ, 2025 સુધી ચાલશે. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં એક જ સ્થળે તમામ સરકારી સેવાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમુદાયના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 15 જુલાઈ 2025 સુધી આ અભિયાન ચાલશે. જિલ્લાના દાંતા, અમીરગઢ, થરાદ, પાલનપુર અને વડગામ એમ પાંચ તાલુકાના 167 ગામોમાં રહેતા 1,91,896 આદિવાસી લોકોને આ અભિયાનનો લાભ મળશે. 3 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાંતા તાલુકામાં પીપળાવાળી વાવ આશ્રમશાળા સહિત 9 પ્રાથમિક શાળાઓમાં કેમ્પ યોજાશે. અમીરગઢમાં ખૂણીયા, ઢોલીયા, રામપુરા અને કાનપુરા પ્રાથમિક શાળાઓમાં કેમ્પ થશે. થરાદ તાલુકામાં મોટા મેસરા સહિત 5 શાળાઓમાં, પાલનપુરમાં છાપરા અને વડગામમાં મોતીપુરા પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થશે. ધરતી આબા જન ઉત્કર્ષ અભિયાન ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની તકો વધારવામાં આવશે. આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવો એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ચૂંટણી પંચે 25 જૂન 2025થી આંગણવાડી કાર્યકરોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડી કાર્યકરોએ તેમની રજૂઆતમાં જણાવ્યું કે, મોટાભાગની બહેનોએ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરેલું નથી. તેઓ હાલમાં આંગણવાડીના બાળકોની સંભાળ, પોષણ વ્યવસ્થા, સગર્ભા માતાઓની દેખરેખ, પોલિયો રસીકરણ અને કુપોષણ નિવારણ જેવી અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું કે, તેઓ સરકારી કર્મચારી નથી, પરંતુ માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા અને રદ કરવા જેવી BLOની કામગીરી તેમના માટે નવી છે. આ કામગીરીથી તેમને મુશ્કેલી પડશે અને વિવિધ ગામોમાં રાજકીય આક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આંગણવાડી કાર્યકરોએ BLO તરીકેની નિમણૂંકનો આદેશ તાત્કાલિક રદ કરવાની માગણી કરી છે. તેમણે વર્તમાન કાર્યબોજ અને નવી જવાબદારીઓના સંભવિત પડકારોને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે.
ભરૂચના જીએનએફસી ટાઉનશીપ નજીક મુકતાનંદ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય અંબાલાલ પરમાર સાથે 40 લાખની ઠગાઈ થઈ છે. અંબાલાલ જીએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત થયા છે. 17મી એપ્રિલે સવારે સવા નવ વાગ્યે તેમના મોબાઈલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તેમના નામથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યું છે. આ સિમકાર્ડથી 16 ગુના આચરવામાં આવ્યા છે. વધુમાં, તેમના નામે કેનેરા બેંકમાં ખાતું ખોલી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. ફોન કરનારે સુપ્રીમ કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ નીકળ્યાનું જણાવી ધમકી આપી હતી. તબક્કાવાર ફોન કરી ધમકાવીને તેમની પાસેથી એફડી અને બેંક ખાતામાંથી કુલ 40 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ દરમિયાન ઈન્દોરના ચંદ્રશેખર શાંતિલાલ બાંગરને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે ઓર્ગેનિક અનાજ-કઠોળનો વેપાર કરે છે. કેરળના નાદીર નામના વ્યક્તિએ ગેમિંગ સટ્ટા અને બે નંબરના પૈસાની હેરાફેરી માટે તેનું બેંક એકાઉન્ટ માંગ્યું હતું. ચંદ્રશેખરે 3 ટકા કમિશનના બદલામાં પોતાનું સિમકાર્ડ અને ઈન્ટરનેટ બેંકિંગના યુઝર આઈડી-પાસવર્ડ આપ્યા હતા. તેના એકાઉન્ટમાં જમા થયેલા 40 લાખ રૂપિયા 20 અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ધંધામાં 20થી 25 લાખનું દેવું થવાથી તેણે આ કામ કર્યું હતું અને તેને 30 હજાર રૂપિયા કમિશન મળ્યું હતું.
જળ સમૃદ્ધિનો આનંદ:અબડાસાના તેરામાં ત્રણ ઐતિહાસિક તળાવો ઓવરફ્લો, રાજપરિવારે કર્યા વધામણા
અબડાસા તાલુકાના તેરા ગામમાં સારા વરસાદને કારણે ત્રણ ઐતિહાસિક તળાવો ઓવરફ્લો થયા છે. આ શુભ અવસરે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને તેમના પરિવારજનોએ તળાવોના વધામણા કર્યા હતા. તળાવોના વધામણા કાર્યક્રમમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દાતા ધનજી નારાણજી ભદ્રાના ભત્રીજા રાજેશ ભદ્રા, પ્રવીણ માધવજી રતડા અને સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલીએ પણ વધામણામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસરપંચ જુમા કોલી, ચેરમેન હરેશ મહેશ્વરી અને વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંત ગોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. માજી સરપંચ આદમ લોધરા, જીલુભા સોઢા, મામદ કુંભાર અને પ્રભુલાલ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામના લોકો વાજતે-ગાજતે તળાવની પૂજનવિધિ માટે એકત્રિત થયા હતા. સમગ્ર ગામમાં જળ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ઐતિહાસિક ક્ષણને માણી હતી.
વિકટ પરિસ્થતિમાં ખડેપગ રહી દર્દીઓને સેવા-સારવાર આપતા તબીબોની નિ:સ્વાર્થ ભાવનાને બિરદાવવાના હેતુથી દર વર્ષે 1 જુલાઈએ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવાં આવે છે. જેના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ટીમે વિવિધ વિભાગોના તબીબી વડાઓનું તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય કામગીરી બદલ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું. તબીબોને સન્માનિત કરવામાં આવ્યાઆ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સફેદ એપ્રનમાં દેવદૂત સમાન તબીબો દર્દીઓ માટે ઈશ્વરનું રૂપ એટલે ડૉક્ટર. ડોક્ટર અને દર્દી વચ્ચે મહત્વની કડી એટલે નર્સીસ દ્વારા આજે તબીબોને સન્માનિત કરવામાં આવ્યા છે. તબીબો સાચા અર્થમાં ઈશ્વરનું રૂપ છેતેમણે વધુમાં કહ્યું કે, સફેદ એપ્રનમાં દેવદૂત સમાન તબીબો દર્દીઓ માટે ઈશ્વરનું રૂપ એટલે ડૉક્ટર. દર્દી ડોક્ટર પાસે દુઃખદર્દ લઈને આવે છે અને હસતો-હસતો, સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. એક સિક્કાની બે બાજુ સમાન ડૉક્ટર અને નર્સ કોઈ પણ જાતના ભેદભાવ વિના કુદરતી કે માનવસર્જિત સંકટમાં સતત સેવા આપી સમગ્ર સમાજને મદદરૂપ બને છે. કોરોનાકાળમાં હજારો લોકોના જીવન બચાવનાર અને દેશને મહામારીમાંથી ઉગારનાર તબીબો સાચા અર્થમાં ઈશ્વરનું રૂપ છે. ભારત આજે મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છેઉત્કૃષ્ટ તબીબી સેવાને કારણે ભારત આજે મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. ભારત અને ખાસ કરીને સરકારના પ્રયાસોથી તેમજ તબીબોની ઉચ્ચ ક્ષમતા અને કુશળતાના કારણે ગુજરાતમાં કેન્સર, રોબોટિક સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અનેક અત્યાધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ છે, અગાઉ આ માટે મુંબઈ જવું પડતું હતું. દર્દી પરિવાર જેવો માહોલ અનુભવે છેઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફોરેન્સિક DNA સાથેના પોસ્ટમોર્ટમ દાખલ દર્દીની સારવાર, પૂર, ભૂકંપ જેવી આફતોમાં પરિવારને છોડીને સેવા આપતા તબીબોની ભૂમિકા કાબિલેદાદ છે. કોઈપણ અપેક્ષા વિના તબીબો, નર્સિંગ અને સંલગ્ન સ્ટાફની પરિવારભાવનાથી દર્દી પરિવાર જેવો માહોલ અનુભવે છે અને ઝડપભેર સ્વસ્થ થાય છે, ત્યારે તબીબોને સન્માનિત કરવા એ આપણી ફરજ છે એમ જણાવી તબીબોને ઉમદા સેવા બદલ કડીવાલાએ અભિનંદન પાઠવ્યાં હતા.
બોટાદ જિલ્લામાં વિદેશી દારૂના ગુનાઓને નિયંત્રિત કરવા પોલીસે કડક પગલાં લીધા છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની સૂચના અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા અને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બોટાદ રૂરલના પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.સાકરીયાએ વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોયે આ દરખાસ્તને મંજૂરી આપી પાસા અટકાયત વોરંટ જારી કર્યું. બોટાદ એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી અને તેમની ટીમે સમઢીયાળા-1ના રહેવાસી રાજેશભાઈ ગોરધનભાઈ શેખલીયાની ધરપકડ કરી. આરોપીને પાસા વોરંટની બજવણી કરીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.
વડોદરા ક્રાઇમ ન્યૂઝ:શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના આરોપીને ઝડપ્યો
વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોપેડ પર જતી બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગના બે ગુનાઓ અને અમદાવાદમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ગુનેગારને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તુવર અને એન.જી. જાડેજાની સૂચનાઓ આધારે પો. સબ ઇન્સ્પેક્ટર એસ.ટી. સાડસુરની ટીમે મળેલી માહિતીના આધારે બાવામાનપુરા ઇમરાન ચેમ્બર્સ પાસેથી શંકાસ્પદ ઇસમ ફૈઝાન ઉર્ફે પંડીત મહમંદહુસેન શેખ (ઉ.વ. 24, રહે. જીશાન રેસિડેન્સી, મસ્તાન મસ્જીદ રોડ, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ અને ગુનાઓસઘન પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેણે તેના સાગરીત સાથે મળીને અમદાવાદથી ચોરેલી મોટરસાઇકલ પર વડોદરાના ખોડિયારનગર અને સમા વિસ્તારમાં રાત્રે 9થી 10 વાગ્યાના સમયે મોપેડ પર જતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને ચોરી કરી હતી. આ ગુનાઓ બાપોદ અને સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. વધુમાં, આરોપી અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ ચોરીના ગુનામાં પણ નાસતો ફરતો હતો. આરોપીનો ગુનાહીત ઇતિહાસફૈઝાન ઉર્ફે પંડીત મહમંદહુસેન શેખ સામે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ અને વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેઇન સ્નેચિંગ, ખંડણી, મારામારી અને અન્ય ચોરીના કુલ 15 ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, તે ગુનાહીત પ્રવૃત્તિઓને કારણે બે વખત PASA હેઠળ પણ જેલમાં રહી ચૂક્યો છે. આરોપીને વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને સમા તથા વેજલપુર પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે.
રાજકોટનાં વોર્ડ નં 11માં આવેલ મોટામવામાં આજે ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમની મેઇન લાઇન લીકેજ થઈ હતી. આ અંગેની જાણ થતા જ તાત્કાલિક મેઇન લાઇન બંધ કરાવી રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ લીકેજ થવાથી તિરુમાલા સોસાયટીનું પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. જયારે બાકીના વિસ્તાર આંગન ગ્રીન સિટી રુદ્રા હેરીટેજ શ્રીનાથ પાર્ક તેમજ લાગુ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ લાઇન રીપેરીંગ એકાદ કલાક ચાલ્યુ હતું. તે બાદ તિરૂમાલા સોસાયટીમાં પણ પાણી વિતરણ કરી દેવાશે તેમ વોટર વર્કસ વિભાગે જણાવ્યું હતું. નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે, પત્રો પહોંચાડનારા પોસ્ટમેન હવે સ્માર્ટ બન્યાવિશ્વભરમાં ડાક સેવાને લઈને આમૂલ ફેરફારો કરવામાં આવ્યા છે. ભૌતિક ડાકથી ડિજીટલ ડાકના આ યુગમાં પોસ્ટ સેવામાં વિવિધતા સાથે ઘણા નવા પાસાંઓ જોડાયા છે. પોસ્ટમેન સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પહોંચાડતી એક મહત્વની કડી તરીકે ઊભરી આવ્યા છે. આ સમયે 1 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’ નિમિત્તે ડાક કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવાની પરંપરા ઊભરી છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’નો પ્રારંભ વોશિંગ્ટન રાજ્યના સીએટલ શહેરમાં વર્ષ 1997માં કર્મચારીના સન્માનમાં કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે ભારત સહિત અન્ય દેશોમાં પણ તેની ઉજવણી થવા લાગી. આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાક કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાના માનમાં ઉજવવામાં આવે છે. હવે પોસ્ટમેનના હાથમાં સ્માર્ટ ફોન અને બેગમાં ડિજિટલ ઉપકરણ પણ છે. આજે પોસ્ટમેન ડિજિટલ ઉપકરણો દ્વારા રેશનકાર્ડ ધારકોનું ઇ-કેવાયસી કરી રહ્યો છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આર્થિક અને સામાજિક સમાવેશ હેઠળ પોસ્ટમેન મોબાઇલ એ.ટી.એમ. તરીકે નવી ભૂમિકા ભજવી રહ્યા છે. જાહેર સુરક્ષા યોજનાઓથી લઈને આધાર, ડીબીટી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, ઈ-શ્રમ કાર્ડ, વાહન વીમો, ડિજિટલ જીવન પ્રમાણપત્ર જેવી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. તેમજ લોકોને પત્રો પહોંચાડનારા પોસ્ટમેન હવે સ્માર્ટ બન્યા છે. રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, આવતીકાલથી બુકીંગ શરૂમુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ- લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 05046/05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [9-9 ટ્રીપ્સ] અને ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ ને 7 જુલાઈથી 1 સેપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 જુલાઈથી 31 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ પૈકી ટ્રેન નંબર 05046ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 જુલાઈ, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ભાજપનાં શાસન સામે કોંગ્રેસ દ્વારા લોક આંદોલનની જાહેરાત, 18 વોર્ડના પ્રશ્નો ઉઠાવશેરાજકોટ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ શાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, રાજકોટને સ્માર્ટ સિટીના સપના દેખાડીને શહેરની હાલત ગામડા કરતાં પણ બદતર કરી દેવામાં આવી છે. વરસાદી સિઝનમાં ખાડા, ગંદકી, પાણી અને ટ્રાફિક જેવા પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, જ્યારે ભાજપના શાસકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. કોંગ્રેસે આગામી સમયમાં શહેરના તમામ 18 વોર્ડના પ્રશ્નોને લઈને પ્રજાકીય આંદોલન છેડવાની જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે, શહેરના મુખ્ય પ્રશ્નોમાં ખરાબ રોડ-રસ્તા, અપૂરતો અને ડહોળો પાણી પુરવઠો, સફાઈનો અભાવ, વધતી ટ્રાફિક સમસ્યા, અને અટકેલા પ્રોજેક્ટ્સ જેવા કે આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય છે. આ ઉપરાંત, મહાનગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર, મસમોટા વેરા ઉઘરાવવા છતાં કામોનો અભાવ, જીઓ ટેગિંગ પ્રોજેક્ટનું સુરસુરિયું, શાળાઓ માટે માલિકીના મકાનો ન હોવા, અને વોર્ડ ઓફિસોમાં નાગરિક સુવિધાઓનો અભાવ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં 6 વખત ઓપન હાઉસ યોજવાની અને હેલ્પલાઈન નંબર જાહેર કરવાની પણ માગ કરી હતી.
ખંભાળિયા તાલુકાના અનેક ગામોની જીવાદોરી સમાન વંગડી ડેમની આમ આદમી પાર્ટીના કિસાન સેલના કાર્યકર્તાઓએ મુલાકાત લીધી છે. કાર્યકર્તાઓએ સ્થળ પર જઈને ડેમની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વંગડી ડેમનો પ્રશ્ન છેલ્લા 26 વર્ષથી પેન્ડિંગ છે. જો આ ડેમનું યોગ્ય નિર્માણ અને સુધારણા કરવામાં આવે તો જુવાનગઢ, માધુપર અને પીપળીયા સહિતના આસપાસના ગામોનો વિકાસ થઈ શકે છે. આ ઉપરાંત, વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની પાણીની સમસ્યા પણ હલ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માંગ કરી છે કે વંગડી ડેમનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. જેથી આસપાસના ગામોને તેનો લાભ મળી શકે અને સમગ્ર વિસ્તારનો વિકાસ શક્ય બને.
વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસ.ઓ.જી. પોલીસની સંયુક્ત ટીમે જાહેરમાં ધૂમ્રપાન કરતા યુવાનો અને આરોગ્યલક્ષી ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ એમ.એસ. યુનિવર્સિટી કમ્પાઉન્ડ અને ડેરીડેન સર્કલની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જે દુકાનદારોએ તમાકુ મોત નોતરે છે લખાણવાળું નિયમ મુજબનું બોર્ડ નહોતું લગાવ્યું, જાહેરમાં ધૂમ્રપાન કરતા ઇસમો અને નાની વયના વિદ્યાર્થીઓને તમાકુ-સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 4 અને 6(અ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 23 શખસો પાસેથી સમાધાન શુલ્ક પેટે દંડ વસૂલી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. નશામુક્તિ માટે પહેલ પોલીસ કમિશનરના મિશન ક્લીન અને ઓપરેશન ક્રેક ડાઉન જેવા પ્રયાસો ઉપરાંત, શહેરની જાહેર જગ્યાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના સતત પ્રયાસો ચાલુ છે. ટ્રાફિક શાખા-પશ્વિમની અડચણરૂપ/નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો વિરુધ્ધ કાર્યવાહીવડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેર રોડ પર અડચણરૂપ તેમજ નો પાર્કિંગ ઝોનમાં” પાર્ક કરતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે અંતર્ગત ટ્રાફિક-પશ્વિમ પોલીસ દ્વારા અડચણરૂપ/નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ ફોર વ્હિલ-60 ને કારલોક મારી, દંડ રૂ.30000/- કરવામાં આવેલ છે.
જો તમે પક્ષીઓ જોવાના શોખીન હોય તો દર શનિ-રવિ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી જજો. સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓને લોકોને જોવા માટે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બર્ડ વોચિંગ કરાવવાનું આયોજન કર્યું છે. રિવરફ્રન્ટના ચાર લોકેશન ઉપરથી ખાસ બર્ડ વોચરની ટીમ દ્વારા લોકોને ટેલિસ્કોપ અને કેમેરાની મદદથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ બતાવવામાં આવશે. અમદાવાદમાં સૌપ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચે આવેલા બાયોડાઇવર્સિટી પાર્ક ખાતેથી બર્ડ વોચિંગની આગામી 5 જુલાઈથી શરૂઆત કરવામાં આવશે. પક્ષીઓ જોવા માટે દ્વારા આપવામાં આવેલા ગુગલ ફોર્મ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશેઅમદાવાદ શહેરમાં અનેક જાતિના પક્ષીઓ આવેલા હોય છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં સવારે અને સાંજે પક્ષીઓ આવતા હોય છે. શહેરની સુંદરતામાં વધારો કરતા આવા પક્ષીઓની લોકો સુધી માહિતી પહોંચે તેના માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકો પક્ષીઓ જોઈ શકે તેના માટે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશે. ખાસ બોર્ડ વોચરના નિષ્ણાંતો દ્વારા ટેલિસ્કોપ, દૂરબીન, કેમેરા અને પક્ષીઓની માહિતી આપતી હેન્ડબૂક લોકોને આપવામાં આવશે. બર્ચ વોચિંગ કરવા આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શકાશેજે લોકો રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓ જોવા માંગતા હોય તેમણે https://forms.gle/EU24t1skQABryAZEA લિંક ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપરાંત એક સ્કેનર પણ આપવામાં આવ્યું છે જે મારફતે ગુગલ ફોર્મની લીંક મેળવી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર જેટલા લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. પક્ષીઓને જોવા માટે સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યાનો સમય રહેશે. આકાશમાં ઉડતા પક્ષીઓ, તેમના અવાજ તેમની અનોખી મનમોહક અદાઓ કેમેરામાં લોકો કેદ કરી શકશે. અમદાવાદમાં 191 પ્રજાતિના દર વર્ષે બે લાખ જેટલા પક્ષીઓ આવતા હોય છે ક્યાં ક્યાં લોકેશન
સુરતને વૈશ્વિક ગાર્મેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે માર્કેટ વિસ્તારમાં એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સૌથી આકર્ષક કેન્દ્ર 5 ફૂટ ઊંચી ટી-શર્ટ બની હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ટી-શર્ટ સુરતની ગાર્મેન્ટ ઉદ્યોગની વધતી ક્ષમતાનું પ્રતિક બની હતી. આ રેલી ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (CMAI), ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT), ફેડરેશન ઑફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિયેશન (FOSTTA) અને અન્ય સંગઠનોના સહયોગથી યોજાઈ હતી. રેલીનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પામ ટુ ફોરેન (કપાસથી વિદેશ સુધી)ના સૂત્રને સાર્થક કરવાનો અને ફિટ ઇન્ડિયા યોગ સાથે ગાર્મેન્ટ ઉદ્યોગને જોડવાનો હતો. આ પ્રસંગે, ભાજપ પ્રમુખ પરેશ પટેલ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ સહિત માર્કેટના વિવિધ વેપારી સંગઠનોના અગ્રણીઓએ રેલીને ફ્લેગ ઑફ કરીને શુભારંભ કરાવ્યો હતો. સુરત કાપડ ઉદ્યોગનું પાવરહાઉસઉલ્લેખનીય છે કે સુરત કાપડ ઉદ્યોગનું એક મુખ્ય કેન્દ્ર છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ પોલિએસ્ટર કાપડ અને સાડીઓનું ઉત્પાદન સુરતમાં થાય છે. દૈનિક આશરે 6,000 કરોડનું કાપડ અહીં બને છે. વિશ્વભરમાં ગાર્મેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે ત્યારે, સુરતને આ વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન અપાવવા માટે આ પ્રકારની જાગૃતિ રેલીઓ અત્યંત મહત્વની બની રહે છે. આ રેલીના માધ્યમથી મોટાભાગના વેપારીઓ ગાર્મેન્ટ ઉદ્યોગમાં આગળ વધે અને સુરતને ખરા અર્થમાં ગાર્મેન્ટ હબ બનાવી શકે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ગાર્મેન્ટ અવેરનેસ કાર્યક્રમ માં માર્કેટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આગામી મોહરમ-તાજીયાના તહેવારને અનુલક્ષીને સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. આ પ્રયાસોના ભાગરૂપે ઝોન-3 માં સમાવિષ્ટ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ, ચોકબજાર, સિંગણપોર, મહિધરપુરા અને કતારગામમાં પોલીસે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં નાયબ પોલીસ કમિશનર (DCP) પિનાકીન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા. તેમની સાથે ઝોન-3 ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા. DCP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓનું સાયકલ પર પેટ્રોલિંગઆ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો અને સામાન્ય જનતામાં પોલીસની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવાનો છે. DCP અને PI જેવા ઉચ્ચ અધિકારીઓનું સાયકલ પર પેટ્રોલિંગ કરવું એ પોલીસ દળના પ્રતિબદ્ધતા અને જનતા સાથેના સીધા સંપર્કને કરવામાં માટે હતો. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે, જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે. તાજીયાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યુંસાયકલ પેટ્રોલિંગ ઉપરાંત, પોલીસ અધિકારીઓએ તાજીયાના રૂટનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો હેતુ રૂટ પરના સંભવિત અવરોધોને દૂર કરવાનો અને તાજીયા સરઘસ સુચારુ રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવાનો હતો. પોલીસ દ્વારા સ્થાનિક અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સતત સંપર્કમાં રહી, તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધDCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, મોહરમ-તાજીયાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાટકુવા ગામના બે યુવક સાથે પાવાગઢમાં એક કરુણ ઘટના બની છે. વડા તળાવમાં નહાવા પડેલા બે યુવકમાંથી એકનું મોત નિપજ્યું છે. વિપુલભાઈ અભેસિંગભાઈ રાઠવા (ઉંમર 20) અને જીગ્નેશભાઈ ગુજીભાઈ રાઠવા પાવાગઢ તળેટી ખાતે ફરવા આવ્યા હતા. બંને મિત્ર વડા તળાવમાં નહાવા પડ્યા હતા. તરતા ન આવડતાં બંને ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ તરત જ હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડની આગેવાનીમાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ફાયરમેન વાય.કે. પટેલ, જયેશ કોટવાલ, ઉપેન્દ્રભાઈ બારીયા, વસંત ભાભોર અને રાજનસિંહ સોલંકી સહિતની ટીમે બચાવ કામગીરી શરૂ કરી. બચાવ ટીમે વિપુલભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે જીગ્નેશભાઈને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા. જીગ્નેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટની કન્ટેમ્પ બેન્ચ દ્વારા આજે એક સિનિયર કાઉન્સિલ સામે કન્ટેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે 26 જૂનના રોજ જજ સંદીપ ભટ્ટની કોર્ટમાં સિનિયર કાઉન્સિલ ઓનલાઇન સુનવણીમાં હાજર થયા હતા. જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. તેઓ ફોન ઉપર વાતો કરતા હતા અને તેમને બિયર મગમાંથી પીણું પીધું હતું. આ પ્રકારની વર્તણૂકથી સિનિયર કાઉન્સિલ કોર્ટની ગરિમા ઓછી કરી છે. સિનિયર કાઉન્સિલ દ્વારા આવી વર્તણૂકથી યુવા વકીલોમાં ખોટી છાપ ઉભી થઈ છે. સિનિયર કાઉન્સિલ તરીકેની ગરીમા તેમને જાળવી નથી. તેમની સિનિયર કાઉન્સિલની પદવી ઉપર પ્રશ્ન સર્જાયો છે. વિડિઓ કોન્ફરન્સથી હાજર થતા લોકોએ કોર્ટની ગરિમા જાળવવાની હોય છે. આ મુદ્દે કોર્ટ સૂઓમોટો કન્ટેમ્પ અરજી દાખલ કરે છે. રજિસ્ટ્રી આ ઘટનાનો રીપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરશે અને વીડિયો સાચવી રાખશે. આ મુદ્દે બે અઠવાડિયા પછી સુનવણી યોજાશે. કન્ટેમ્પ બેન્ચ હુકમ ન કરે ત્યાં સુધી સિનિયર કાઉન્સિલર પોતાની બેન્ચ સમક્ષ વર્ચ્યુઅલ હાજર નહીં રહી શકેકન્ટેમ્પ બેન્ચે વધુ હુકમ ન થાય ત્યાં સુધી સિનિયર કાઉન્સિલને પોતાની બેન્ચ સમક્ષ વર્ચ્યુઅલ હાજર રહી શકશે નહીં તેવો હુકમ કર્યો હતો. સાથે જ સમગ્ર બાબત ચીફ જજના ધ્યાને મુકાઈ હતી. ઉપરોક્ત બાબતના બે કલાક જેટલો સમય વીત્યા બાદ કન્ટેમ્પ બેન્ચ સમક્ષ સિનિયર કાઉન્સિલ હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોર્ટની બિનશરતી માફી માંગે છે અને કોર્ટ હુકમ કરે તે સજા ભોગવવા તૈયાર છે. જો કે કોર્ટે કહ્યું હતું કે તમે માફી કન્ટેમ્પ અરજીની સુનવણીમાં રજૂ કરજો, અમે તેનો સ્વીકાર કરીશું. આ પણ વાંચોઃ HCની સુનાવણીમાં અરજદાર ટોઈલેટમાંથી ઓનલાઈન જોડાયો હવે, દરેક વકીલ પોતાના અસીલને કોર્ટમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેવા અંગે નિયમોની જાણ કરશેસિનિયર કાઉન્સીલે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે તેમનો કોર્ટની ગરીમા ભંગ કરવાનો કોઈ હેતુ નહોતો. તે વખતે તેમની મેટર ઉપર સુનવણી ચાલતી નહોતી. તેઓએ વર્ચ્યુઅલ કોર્ટની બહાર નીકળવાનું બટન દબાવ્યું પણ ટેક્નિકલ કારણોસર તેમ થઈ શક્યું નહીં.આ માત્ર 15 સેકન્ડની ભૂલ હતી. આ સમયે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. તેમને તાજેતરમાં કોર્ટ ટોયલેટમાંથી એક પક્ષકાર જોડાયાનો વાયરલ વીડિયો અંગે કોર્ટને જાણ કરી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે તેની સામે પણ કન્ટેમ્પ અરજી દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બ્રિજેશ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક ઠરાવ પસાર કર્યો છે. જે મુજબ દરેક વકીલ પોતાના અસીલને કોર્ટમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત થવા અંગે નિયમોની જાણ કરશે.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી 30 જૂન 2025 સુધી એમ 6 મહિનામાં 15,688 પેટ ડોગના માલિકો દ્વારા 17,859 જેટલા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ લોકો ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. ડોગ રજિસ્ટ્રેશન માટેની તારીખ વધુ એક મહિના માટે લંબાવાઇ છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશનશહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે. હજી પણ શહેરમાં અંદાજિત 32,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી. ત્યારે હવે ડોગ રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરી 500 રૂપિયા કરવામાં આવ્યા છે. જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે 31 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. સૌથી વધુ જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર સહિતના ડોગનું રજિસ્ટ્રેશનડોગ રજિસ્ટ્રેશન સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછા મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્લીદરવાજા, જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. AMC ડોગ રાખનાર લોકો માટે પોલિસી બનાવી રહ્યું છેઅમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોલિસી બનાવી તેને લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ મહિનામાં જ આ પોલિસી લાગુ થઈ શકે છે. રજિસ્ટ્રેશનની તારીખ લંબાવી 31 જુલાઈ સુધી કરાઈCNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં આવતી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી 30 જૂન સુધી હતી. જેની તારીખ લંબાવીને 31 જુલાઈ 2025 સુધી કરવામાં આવી છે. શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે. જો કે આ પોલિસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. પેટ ડોગનું આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવોજે નાગરિકો પોતાના પેટ ડોગ રાખે છે તેઓને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in પર જવાનું રહેશે જેમાં important linksમાં ક્લિક કરતાંની સાથે અરજદારનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો નાખવાની રહેશે જેથી તરત ઓટીપી માંગવામાં આવશે. જેમાં ઓટીપી નાખતાની સાથે જ એક લિંક ખુલશે. જેમાં પેટ ડોગના રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પેટ ડોગના માલિકના નામ મોબાઈલ નંબર, રહેઠાણ, કૂતરાની જાતિ તેનો પ્રકાર અને તેની ઉંમર સહિતની વિગતો ભરવાની રહેશે. જે વિગતો ભર્યા બાદ પેટ ડોગના માલિકે પોતાના ઓળખના પુરાવા પણ જોડવાના રહેશે. પેટ ડોગના નોંધણી ફી રૂ. 500 ચૂકવવાની રહેશેઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 500 ચૂકવવાની રહેશે. જેમાં pay ઉપર ક્લિક કરી ફી પી ચુકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 જુલાઈ 2025 સુધીમાં કરાવવાનું રહેશે. જરૂરી પુરાવા/ પ્રક્રિયા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં અગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળામાં રાજ્ય સરકારની RCC ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને જીએસટી સાથેના રાઈડના બિલને લઈને રાઈડ સંચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. 238 સ્ટોલ અને પ્લોટ સામે હજુ સુધીમાં 23 ફોર્મ જ ભરાયા છે. જેમાં રાઈડ ભાડે રાખવા માટે એકપણ ફોર્મ ભરાયું નથી. આજે કલેકટરની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રનો સ્ટાફ, રોડ એન્ડ બિલ્ડીંગના અધિકારીઓની રાઈડ ધારકો સાથે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક નિષ્ફળ નીવડી છે. કારણકે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની SOPમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ છે તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે. તો આ સાથે જ જો છેલ્લી તારીખ સુધી એકપણ રાઈડ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે તો આ વખતે રાઈડ વિના લોકમેળો યોજાશે. જ્યારે સામે પક્ષે ગુજરાત મેળા એસોસિયેશનના સભ્યોએ કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા 50 વર્ષથી મેળાઓ યોજાય છે. જેમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ નથી. જેથી ટેમ્પરરી મેળામાં રાઈડ હેઠળ લોખંડની પ્લેટ રાખવાની છૂટ આપવા સહિતની બાંધછોડ કરવામાં આવે તેવી માંગણી છે. રાઇડ અને સ્ટોલ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં આવેરાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, લોકમેળા અમલીકરણ સમિતિના અધિકારીઓ સાથે આજે સવારે બેઠક યોજાઇ હતી અને ત્યાર બાદ સાંજના સમયે રાઈડ સંચાલકો સાથે બેઠક મળી હતી. જેમાં તેમના દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અમારા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, રાઇડ અને સ્ટોલ સંચાલકો દ્વારા ફોર્મ ભરવામાં આવે. ફોર્મ ભરવાની તારીખમાં હવે કોઈ વધારો કરવામાં નહીં આવે. SOP વિના એકપણ રાઇડ સંચાલકોને રાઇડ રાખવાની મંજૂરી આપવામાં નહીં આવે. જો છેલ્લી તારીખ સુધી એકપણ રાઈડ સંચાલક દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે તો વહીવટી તંત્ર દ્વારા તે રીતે આગળ વધવામાં આવશે. સૌરાષ્ટ્રમાં એક પણ મેળો યોજાય તેમ નથીગુજરાત મેળા એસોસિએશનના સભ્ય કૃણાલ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત મેળા એસોસિયેશનના સભ્યોની કલેક્ટર સાથે બેઠક હતી. કલેકટર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે SOPમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. મેળો રાઈડસ વિના યોજશું બાકી SOPમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવેલું છે. ટેમ્પરરી લોકમેળામાં યાંત્રિક રાઈડ સંચાલકોને રાહત આપવામાં આવે તેવી માંગણી છે. કારણકે રાજ્ય સરકારની યાંત્રિક રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન અને જીએસટી સાથેનુ રાઈડનું બિલ માંગવામાં આવે છે જે શક્ય નથી. આ રીતે રાજકોટ તો શું સૌરાષ્ટ્રમાં એક પણ મેળો યોજાય તેમ નથી. જે પણ જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે રાજકીય ભલામણથી જ થયું હશે. કારણકે SOPનું પાલન કરીને એકપણ પ્રકારનો મેળો થાય તેવી શક્યતા નથી. સરકાર દ્વારા રાહત આપવામાં આવેહાલ જે રીતે કલેક્ટર નિવેદન આપ્યું તેનાથી એવું નથી લાગતું કે આગામી શ્રાવણ અને જન્માષ્ટમી મહિનામાં સૌરાષ્ટ્રમાં એક પણ લોકમેળાનું આયોજન થાય. રાઈડ હેઠળ સિમેન્ટના RCC ફાઉન્ડેશનને બદલે કડક લોખંડની પ્લેટ મુકવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી છે. 50 વર્ષથી થતા લોકમેળામાં અત્યાર સુધીમાં એક પણ પ્રકારની દુર્ઘટના બની નથી. કાયમી એમ્યુઝમેન્ટ પાર્ક કે જે બારેમાસ ચાલુ રહેતા હોય છે તેની SOP ટેમ્પરરી મેળવવા માટે આપવામાં આવતા તે શક્ય નથી. જેથી સરકાર દ્વારા રાહત આપવામાં આવે તે માટે સાંસદ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે. રાજકોટનો લોકમેળો રાઈડ વિના અશક્ય છેજ્યારે અન્ય વેપારી સાગર પોપટે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં 8થી 9 પ્રાઇવેટ મેળા થાય છે. જ્યારે એક સરકારી મેળો થાય છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 32 મેળા થાય છે. જ્યાં 15,000 જેટલા સ્ટોલ સંચાલકો આવે છે. જો રાઈડસ નહીં હોય તો એકપણ સ્ટોલ સંચાલક મેળામાં પોતાના સ્ટોલ રાખશે નહીં. રાજકોટનો લોકમેળો રાઈડ વિના અશક્ય છે.
હાલોલમાં 30 વર્ષ જૂના દબાણો દૂર:તળાવ રોડ પરના ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ પર પાલિકાનું બુલડોઝર
હાલોલ નગરપાલિકાએ આજે તળાવ રોડ વિસ્તારમાં મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી છે. તળાવની પાળે આવેલા 30 વર્ષથી વધુ જૂના ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. નગરપાલિકાએ અગાઉથી તળાવ રોડ વિસ્તારના દુકાન સંચાલકોને નોટિસ આપી હતી. દુકાનના માલિકો દ્વારા દબાણો દૂર ન કરતા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ દુકાન સંચાલકોને તેમનો સામાન હટાવવા માટે સમય આપ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર, દબાણ શાખાની ટીમ અને MGVCLની ટીમ હાજર રહી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
કુતિયાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ઈન્ડી એગ્રો ઉન્સોર્ટયમ ઉત્પાદક કંપની લિમિટેડના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ આઇ કિસાન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અત્યાર સુધીમાં 300 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પોરબંદર પિલાણા એસોસીએશનના વર્ષ 2025-26 માટે નવા પ્રમુખ તરીકે નિલેષભાઈ નાથાલાલ વાંદરીયાની વરણી કરવામાં આવી છે. ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતે વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી અને પંચપટેલ/ટ્રસ્ટીઓએ તેમનું સ્વાગત કર્યું. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત હર્ષસાગર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી પોરબંદરના સંયુક્ત પ્રયાસથી ખાડી વિસ્તારમાં ચેરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. મંડળીના ચેરમેન અરવિંદભાઈ પાંજરી રોપાઓની માવજત કરી રહ્યા છે. ચેરના વૃક્ષો દરિયાઈ ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને 'સમુદ્રના ફેફસા' તરીકે ઓળખાય છે.
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તા પરના ખાડા, પાઇપલાઇનના ખોદકામ પછીની અવ્યવસ્થા, સફાઈ, આરોગ્ય, ગંદા પાણી અને ફાયર NOC જેવા અનેક પ્રશ્નોએ લોકોને ત્રાહિમામ પોકારાવ્યા છે. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પડઘા ચૂંટાયેલી બોડીમાં પણ પડ્યા છે. આજે સવારે મેયર અને ચેરમેન વચ્ચે થયેલી ચર્ચા બાદ પદાધિકારીઓએ સાંજે 5 વાગ્યે મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. પરંતુ મોડેથી આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાનપ્રાપ્ત વિગત મુજબ શહેરમાં છેલ્લા દિવસોમાં વરસાદ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ગઈકાલે વોર્ડ 8ના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર કામ, વોર્ડ 10ના રામપાર્કમાં ચાલુ વરસાદે થયેલા ડામર રોડના કામ અને સાધુ વાસવાણી રોડ પરથી ડામર ઉખડી જવાની ઘટનાઓ સામે આવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને અવારનવાર ચાલુ વરસાદે ડામર કામ ન કરવાની સૂચનાઓ હોવા છતાં આવી ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, અને ગઈકાલે કોંગ્રેસે પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. લોકોના ઘર સુધી ખાડાનો ત્રાસ પહોંચ્યોમેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આજે સવારે મેયર ચેમ્બરમાં ચોમાસાની સ્થિતિ અને કરવાની થતી કામગીરી અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રિ-મોન્સુન કામગીરી બાદ હાલ ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદો મળી રહી છે. રૈયા રોડ સહિતના ઘણા રાજમાર્ગો પર ઝાપટામાં પણ પાણી ભરાઈ જાય છે. જૂના રાજકોટ અને નવા રાજકોટમાં જ્યાં DI પાઇપલાઇનના કામો થયા છે, ત્યાં યોગ્ય ફિલિંગ, મેટલિંગ કે પેચવર્ક ન થવાને કારણે લોકોના ઘર સુધી ખાડાનો ત્રાસ પહોંચ્યો છે. બપોરે 2 વાગ્યે આ બેઠક મોકૂફ રાખવામાં આવીઆ સહિતના મામલે મિટિંગમાં ચર્ચા થવાની હતી. પરંતુ બપોરે 2 વાગ્યે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. રાજકોટના 18 વોર્ડમાં અનેક વિસ્તારોમાં ખાડારાજ જેવી સ્થિતિ છે. જ્યાં નવી પાણીની પાઇપલાઇનના કામો થયા છે, ત્યાં ખોદકામ પછી મેટલિંગ કામ યોગ્ય ન થતું હોવાથી શેરીઓમાં લોકોના ઘર કે એપાર્ટમેન્ટ પાસે રોડ બેસી ગયા છે. ચાલુ વરસાદે થતા ડામર કામો અંગે પણ ફરિયાદો આવે છે. બંને પદાધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, ખોદકામ બાદના ખાડા નિયમિત રીતે પૂરવાના થાય છે અને વરસાદ ન હોય ત્યારે પેચવર્ક પણ કરવાના થાય છે. દિવાળી સુધીમાં તૂટેલા તમામ રસ્તાઓ રી-કાર્પેટ કરવાની શરત ટેન્ડરમાં પણ છે. રોડ-રસ્તાના કામો અંગે બેઠકમાં ખાસ ચર્ચા થવાની હતીશહેરમાં રોગચાળો, સફાઈ, આંગણવાડી અને દૂષિત પાણી સહિતના પ્રશ્નો પણ છે. આગામી દિવસોમાં આ મામલે પણ સમીક્ષા થવાની શક્યતા છે. આજની બેઠકમાં તમામ પદાધિકારીઓ, ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર, પાંચેય સિટી ઇજનેર, તમામ 18 વોર્ડના DE અને શાખા અધિકારીઓ હાજર રહેવાના હતા. તેમજ બાંધકામ શાખા હેઠળ આવતા રોડ-રસ્તાના કામો અંગે બેઠકમાં ખાસ ચર્ચા થવાની હતી. ચોમાસામાં ડ્રેનેજ અને રોશની શાખાને લગતી ફરિયાદોમાં પણ વધારો થાય છે, આથી આ વિભાગોની કામગીરી અને જરૂરી વ્યવસ્થા અંગે પદાધિકારીઓ સૂચના આપવાના હતા. પરંતુ હાલ આ ચર્ચા મુલતવી રહી છે. બેઠક ક્યારે મળશે તે અંગે આગામી સમયમાં જણાવીશુંમેયર નયનાબેન પેઢડીયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ખાસ કરીને રોડ પરના ખાડા, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવા અને ડામર રોડના નબળા કામની ફરિયાદો સહિતના મુદ્દે બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા થવાની હતી. જોકે, કેટલાક અગમ્ય કારણોસર આ બેઠક હવે થોડા સમય પછી મળશે. આ બેઠક ક્યારે મળશે તે અંગેની જાણ હવે પછી કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.