પડકાર:શરીરમાં વિવિધ દવાઓની બેઅસરનો તબીબી નિષ્ણાતો સામે પડકાર સર્જાયો
આધુનિક ઉપચાર પધ્ધતિએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ કરી છે,પણ એ વચ્ચે એક પડકાર પણ ઊભી થયો છે,જેનું નામ છે એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ.જે દવા બેક્ટેરિયા કે વાયરસ સામે ધારી અસર કરતી હતી એ જ દવા બેક્ટેરિયા વાયરસ સામે બેઅસર થવા માંડી છે. જેને મેડિકલ ભાષામાં એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ (એએમઆર) કહે છે. આ વિષય અનુસંધાને જાગૃતિ લાવવા ભુજની અદાણી મેડિકલ કોલેજમાં પોસ્ટર સ્પર્ધા સાથે સમજ આપવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એએમઆર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે 18થી 24 નવે.સુધી જાગૃતિ સપ્તાહ ઉજવે છે.એ ઉપલક્ષમાં કોલેજના આસિ.ડીન અને માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ આસુદાનીના માર્ગદર્શન હેઠળ કોલેજના વિધાર્થીઓની પોસ્ટર હરીફાઈ યોજાઇ હતી. બીમારીના નિદાન સારવારમાં એન્ટીબાયોટિકની ભૂમિકા મોટી હોય છે પરંતુ તે ડોક્ટરના માર્ગદર્શક હેઠળ લેવાવવી જોઈએ. જો ડોક્ટર સાથે પરામર્શ કર્યા સિવાય બારોબાર દવાની દુકાનેથી લઈને જાતે જ દર્દી ડોક્ટર બની જાય તો દવા અસર કરવાને બદલે બેક્ટેરિયાને જ શક્તિશાળી બનાવી દે છે જે એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ છે પરિણામે સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે તેવી બાબતોને તેમજ લક્ષણો, સાવચેતી, કારણો અને નિવારણ, બેક્ટેરિયાને વાયરસ વિગેરે બાબતો પોસ્ટરમાં વણી લીધી હતી.હરીફાઈના પ્રથમ વિજેતા અભયકુમાર વાઘેલા અને દ્વિતીય ક્રમાંક વૈશાલી રાઠોડને કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ ડૉ.શ્રેયસ મહેતા અને ફિઝીયોલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ સોલંકીએ નવાજ્યા હતા.
એકનાથ શિંદેનો સીધો ઈશારો:મહત્ત્વાકાંક્ષી લાડકી બહેન યોજનાનો લાભ ખાટવા રાજકીય ટકરાવ વધ્યો
મહારાષ્ટ્રમાં આગામી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. લાડકી બહેન યોજનાને લઈને સત્તાધારી અને વિરોધી પક્ષોમાં શબ્દયુદ્ધ ચાલું છે. આ વચ્ચે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ યોજનાનું શ્રેય પોતાને અને મહાયુતી સરકારને મળવાનું હોવાનું દાવો કરી રાજકીય ચર્ચા તેજ કરી છે. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે લાડકી બહેન યોજના શરૂ કરી. કેટલાય વિરોધ છતાં આ યોજના બંધ નહીં થાય.મહાયુતીના વિવિધ પક્ષો સ્થાનિક સ્તરે એકમેક સામે લડી રહ્યા હોવાથી લાડકી બહેનોનું મત કોની તરફ વળશે તે રાજકીય રીતે મહત્વનો પ્રશ્ન બન્યો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓએ આ યોજનાના કારણે મહાયુતીને મોટો ટેકો આપ્યો હતો. તેથી 2 ડિસેમ્બરની નગરપાલિકા ચૂંટણીમાં પણ મહિલા મતદારોનું ઝુકાવ કોની તરફ જાય છે, તેની રાજ્યમાં ચર્ચા છે. શિંદેએ વિદર્ભની સભાઓમાં મહિલાઓની મોટી હાજરીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, લાડકી બહેનોનો વિશ્વાસ તેમના ઉમેદવારોને ફાયદો કરાવશે. યુવાનો થી માંડી વડીલો સુધી મતદારો વિકાસ મુદ્દે સક્રિયપણે જોડાઈ રહ્યા હોવાનું તેમણે કહ્યું. વિકાસ વિશે વાત કરતાં શિંદેએ દાવો કર્યો કે, તેમની મુખ્યમંત્રી પદની કારકિર્દી દરમિયાન, જ્યાં શિવસેના નગરાધ્યક્ષ ન હતા ત્યાં પણ વિકાસ માટે પૂરતો નાણાંકીય ફાળો આપ્યો. પાણી, રસ્તા, ગટરના વિકાસ, આરોગ્ય સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં રાજકારણ કરતા જનહિતને પ્રાથમિકતા આપી હોવાનું તેમણે જણાવ્યું. મહિલાઓના મત અંગે રાજકીય પક્ષોમાં સ્પર્ધા સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે મહાયુતિના પક્ષો આ વખતે અલગ લડી રહ્યા છે, મહિલાઓ કોને સપોર્ટ કરશે તે અનિશ્ચિત બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક મદદ, યોજનાઓનો સીધો લાભ અને ભવિષ્ય અંગેની આશાઓ મહિલાઓના નિર્ણયને અસર કરશે તે નિશ્ચિત છે.
મુલાકાત:ધોરડો, રોડ ટુ હેવન વિસ્તારમાં પાનની પિચકારી મારવા પર મનાઈ ફરમાવાઈ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવ યોજવામાં છે. રણોત્સવનો લાભ લેવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી ૫સાર થતો રસ્તો કે જે ‘’રોડ ટુ હેવન’’ (NH-754k નો ભાગ) ના નામે ઓળખાય છે તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર ૫ર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે. પ્રવાસીઓ કે સ્થાનિક લોકો દ્વારા પાન-મસાલા ખાઈને સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન સફેદ રણમાં થૂંકવામાં ન આવે તે માટે પ્રતિબંધ મૂકી આ જાહેર સ્થળોના સૌંદર્ય, સ્વચ્છતા અને પર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવવા તેને નો સ્પીટીંગ ઝોન જાહેર કરાયો છે.જિલ્લા કલેકટર આનંદ ૫ટેલ દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે ધોરડો રણ ઉત્સવના સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા અને તેની બંને તરફનો 2-2 કિ.મી.નો વિસ્તાર, વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર અને ‘રોડ ટુ હેવનનો કાઢવાંઢથી ધોળાવીરા ગામ એન્ટ્રી પોઈન્ટ સુધીનો રસ્તો અને તેની બંને બાજુના સફેદ રણમાં તમાકુ, ગુટખા, પાન-મસાલા જેવા હાનિકારક ૫દાર્થોનું સેવન કરીને જાહેરમાં થૂંકવા ૫ર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, રણોત્સવ દરમિયાન દેશ-વિદેશના પર્યટકો સફેદ રણનો નજારો માણવા આવે છે. આ રણની સુંદરતા જાળવવા માટે લોકો સફાઇ પ્રત્યે પણ જાગૃત રહે તે જરૂરી બન્યું છે, જે માટે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને થુંકવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
નેપાળી મહિલાની ધરપકડ:નેપાળી મહિલા નકલી ભારતીય પાસપોર્ટ સાથે એરપોર્ટથી પકડાઈ
બોગસ ભારતીય પાસપોર્ટ પર ઓમાનમાં જવા નીકળેલી નેપાળી મહિલાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પોલીસે ધરપકડ કરી હતી. મહિલા ગયા સપ્તાહમાં મસ્કત જતી ફ્લાઈટ પકડવા જતી હતી ત્યારે ઈમિગ્રેશન કાઉન્ટર પર તેને અટકાવવામાં આવી હતી. તેણે પોતાનું નામ કાજલ હોવાનું જણાવીને ભારતીય પાસપોર્ટ બતાવ્યો હતો, જેમાં તેનું જન્મસ્થળ નોહરા, હિમાચલ પ્રદેશ બતાવવામાં આવ્યું હતું. જોકે તેનો ચહેરો નેપાળી જેવો દેખાતો હતો. આથી શંકા જાગી હતી. આથી વધુ ખાઈ માટે તેને સંબંધિત પ્રશાસન પાસે મોકલવામાં આવી હતી, જ્યાં તેની આખરી પૂછપરછ કરાતાં તે ભારતીય નહીં પરંતુ નેપાળી નાગરિક હોવાનું કબૂલ કર્યું હતું, એમ સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહિલાએ અસલી નામ કાજલ લામા હોવાનું અને નેપાળના પરસા જિલ્લાની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસને કહ્યું કે તેના વાલીઓ વર્ષો પૂર્વે નેપાળથી હિમાચલ પ્રદેશમાં હિજરત કરી ગયા હતા, જેને આધારે તેણે ફેક હિમાચલના સરનામા પર આધાર કાર્ડ, પેન કાર્ડ અને બોનાફાઈડ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યાં હતાં. આ બોગસ દસ્તાવેજો સાથે તેણે શિમલા પાસપોર્ટ કાર્યાલયમાંથી નકલી ભારતીય પાસપોર્ટ પ્રાપ્ત કર્યો હતો.
ભાસ્કર સ્ટિંગ:ભુજમાં રાત પડેને ઘોંઘાટીયા બુલેટચાલકોનું દંગલ શરૂ
તમે આરામથી પોતાના રસ્તે જતાં હો અને એકાએક તમને અડીને કોઈ મોટો ફટાકડા ફૂટે કે ચિચિયારી સંભળાય, રખડતાં કુતરાઓ દોડવા અને ભસવા માંડે અને તમારા ઉપર પણ હુમલો કરે ત્યારે તમે અર્થાત રાહદારી શું કરી શકો ? નાનું બાળક, અશક્ત વૃદ્ધ, દર્દી, મહિલા હોય તો સ્વાભાવિક છે કે ડરી જાય અને અકસ્માત થાય, ઇજા પણ થાય.. આ બધુ થાય છે પણ કોઈ બોલતું નથી કારણ કે નબીરા કે આવારા તત્વો પોતાની બુલેટ બાઇક માં સાયલેન્સર બદલાવી પોતાનો અહં સાચવવા કે વટ બતાવવા ખુલ્લેઆમ ધ્વનિ પ્રદૂષણ કરે છે,ડરાવે છે, ઇજા કરે છે અને ભાગી છૂટે છે. ‘ દિવ્ય ભાસ્કર ‘ એ ભુજમાં સમી સાંજથી મોડી રાત સુધી આવી પરપીડનવૃતિ વાળાઓને પડકાર્યા પણ જ્યાં સુધી પોલીસ, ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ. કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આ તોફાન અને ધ્વનિ પ્રદૂષણ અટકે તેવું લાગતું નથી. ખાસ કરીને સ્ટેશન રોડ નજીકની કેટલીક દુકાનોમાં આ ગેરકાયદેસર સાયલેન્સર મળી રહે છે તેવી માહિતી સામે આવતા કરેલી તપાસમાં આવી વિગતો મળી હતી. કાર્યવાહી ચાલુ, વર્ષમાં 28 કેસ : ટ્રાફિક પોલીસનિયમ મુજબ મોટરસાયકલોમાં કંપની માન્ય સાયલેન્સર સિવાયના કડક અવાજવાળા, ફ્રી ફ્લો કે અન્ય કોઈ મોડીફાઇડ સાયલેન્સર લગાવવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, શહેરમાં ચાલુ વર્ષમાં કુલ 28 કેસો નોંધાયેલા છે. આવા બાઇકને રોકી પહેરીવાર 1000 દંડ અને બીજી વાર 2000 સુધીનો દંડ કરવામાં આવતો હોય છે. આવા બાઇક ચાલકના પિયુસી જેવા ડોકયુમેંટ ચેક થાય છે અને જરૂર પડયે ગાડીને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. > ટી. બી. રબારી, પીએસઆઇ, સિટી ટ્રાફિક પોલીસ આવા કિસ્સાઓમાં 5 હજાર સુધીના દંડની જોગવાઇઆ બાબતે આરટીઓ અધિકારી પી. પી. વાઘેલાનો સંપર્ક કરતાં તેમણે વાહનમાં કંપનીના લાયસન્સ સિવાય ફેરફાર કરેલ અલ્ટ્રેશન વિરૂદ્ધ રૂ.5000 સુધીનો દંડ કરીને સાયલેન્સર કઢાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. થોડા મહિના પહેલા રાજકોટમાં આવી રીતે સાયલેન્સરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, કચ્છમાં તંત્ર દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ભાસ્કર ભુજની 3 દુકાને ગ્રાહક બનીને પહોંચ્યુંદુકાનદાર-1 : સ્ટેશન રોડબુલેટ માટે મોડીફાઇડ સાયલેન્સર મળી જશે?- હા, કયું જોઈએ છે? કયા કયા હોય છે?- ઈંદોરી,પટિયાલા શું ભાવે મળી જાય?- 1600 થી 2800 દુકાનદાર-2 : લાલ ટેકરી ફટાકડાવાળા સાયલેન્સર છે કે ?- બોલો કયું મોડેલ છે?ક્લાસિક માટે કયું સારું મળી જાય?- ઈંદોરી લઈ લ્યો એ મીઠો અવાજ આપશે. શું ભાવ છે?- 1650,1750,1850 ભુજમાં ચલાવી શકાય ને?- તમારા ભાગ્ય, પકડાવવાના હશો તો પકડાઈ જશો દુકાનદાર-3 : સ્ટેશન રોડ સાયલેન્સર ક્લાસિક માટે મળી જશે?- હા, કયું મોડેલ છે2020 ક્લાસિક, શું ભાવ છે?- 1600થી 3000 સુધીની રેન્જ છે પોલીસ બાબતમાં શું છે? આ છે નિયમનવા એમ.વી.એક્ટની 194 F પ્રમાણે વિકૃત અવાજ કરતાં સાયલેન્સરનો ઉપયોગ કરવો સજાને પાત્ર છે.
પોલીસ કાર્યવાહી:બ્લેકમેઈલિંગને લઈ આત્મહત્યા કરનાર મહિલાના ફ્રેન્ડની ધરપકડ
સોશિયલ મિડિયા પર મોર્ફ કરેલી અશ્લીલ તસવીરો વાઈરલ કરવાની ધમકી અપાતાં અને બ્લેકમેઈલ કરાતાં મહિલાએ આત્મહત્યા કર્યા પછી તેના ફ્રેન્ડની પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે. પીડિતા ગોરેગાવમાં પરિવાર સાથે રહેતી હતી. તે આરોપી સાથે નિયમિત રીતે સંપર્કમાં હતી. બંને વ્હોટ્સએપ અને ફોન કોલ્સ પર લાંબા કલાકો સુધી વાતો કર્યા કરતા હતા. મહિલાના વાલીને આ અંગે જાણ થતાં તેમણે ફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ આપી હતી. જોકે આમ છતાં મહિલા ફ્રેન્ડ સાથે સંપર્કમાં રહી હતી, એમ ગોરેગાવ પોલીસના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. છેલ્લા થોડા સપ્તાહમાં પીડિતા તીવ્ર માનસિક તાણ હેઠળ આવી ગઈ હતી. તેની માતાએ આ વિશે પૂછતાં તેણે માહિતી આપી હતી કે આરોપી સંજયરાજ વિશ્વકર્મા તેને અન્ય એક ફ્રેન્ડના કાર્યક્રમમાં લઈ ગયો હતો, જ્યાં તેની અનેક તસવીરો ખેંચી હતી. આ તસવીરો એડિટ કરીને તેમાંથી અશ્લીલ તસવીરો બનાવી હતી, જે વાઈરલ કરવાની ધમકી આપીને પૈસા માગતો હતો. જો પૈસા નહીં મળે તો તસવીરો વાઈરસ કરવા ધમકી આપતો હતો, એમ મહિલાએ માતાને જાણ કરી હતી. અનેક વાર નાણાં આપવા છતાં આરોપીએ બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી પીડિતાઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને મહિલાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જોકે તે છતાં આરોપી માનસિક સતામણી કરતો હતો, જેને લઈ તે ગમગીનીમાં સપડાઈ ગઈ હતી. આ પછી 15 નવેમ્બરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જે પછી તેના વાલીઓએ ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં સંજયરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ, અશ્લીલ તસવીરો વાઈરલ કરવાની ધમકી આપવી, બ્લેકમેઈલિંગ, ખંડણી અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો છે.
સિટી એન્કર:મેટ્રો-3ને વરલી અને બીકેસીમાં બે મોટા સબવેની ક્નેક્ટિવિટી
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી મુંબઈ મેટ્રો લાઈન 3 અથવા એક્વા લાઈન પર રાહદારી કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા એમએમઆરસીએલે બે મોટા સબવે બાંધવાની યોજના જાહેર કરી છે. આ સબવેના કારણે મેટ્રો સ્ટેશનના મહત્વના નજીકના પરિસર, સાર્વજનિક સ્થળો અને આગામી પ્રકલ્પો સાથે સીધા જોડાણ મળશે જેના લીધે મેટ્રો-3ની ઉપયોગીતામાં ઘણો વધારો થશે. પ્રસ્તાવિત બે સબવેમાંથી પહેલો વરલીમાં નહેરુ સાયન્સ સેંટર મેટ્રો સ્ટેશનને જોડવામાં આવશે. આ સબવે મહાલક્ષ્મી રેસકોર્સ, વર્લી પ્રોમેનેડ અને નહેરુ પ્લેનેટોરિયમ સુધી બાંધવામાં આવશે. એ સાથે જ કોસ્ટલ રોડ નજીક ઊભા થઈ રહેલા નવા બોગદાને અને પહેલાંની વરલી ડેરીની જગ્યામાં ઊભા થઈ રહેલાં વ્યવસાયિક કેન્દ્રને પણ અ માર્ગ જોડશે. આ સબવે 1.6 કિલોમીટર લાંબો હશે. બીજો સબવે બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનને જોડવામાં આવશે. આ સબવે 1.4 કિલોમીટર લાંબો હશે. આ સબવે પ્રવાસીઓને સીધા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટર્મિનલ સાથે જોડશે. બીકેસી પરિસરના મહત્વના ઠેકાણા સાથે આ માર્ગ સમન્વય સાધશે જેના કારણે આ ભાગ એક મુખ્ય ઈંટરચેન્જ હબ તરીકે વિકસિત થશે. આ બંને સબવેની કુલ લંબાઈ 3 કિલોમીટર કરતા વધુ હશે. આ બંને રાહદારી વેસ્ટિબ્યુલ્સ અથવા સબવે માટે ડીપીઆર તૈયાર કરવા અમે ટૂંક સમયમાં એક એજન્સીની નિયુક્તી કરશું. આ જ એજન્સી બાંધકામના સમયે પ્રકલ્પ વ્યવસ્થાપન સલાહકાર તરીકે પણ કામ કરશે એમ એમએમઆરસીએલના સંચાલક આર. રમણાએ જણાવ્યું હતું. વરલી ડેરીને ગ્રીન સિગ્નલઆ સંપૂર્ણ યોજનામાં એક મહત્વનો ભાગ વરલી ડેરીનો વિશાળ ભૂખંડ છે. આ ભૂખંડ હવે વ્યવસાયિક વપરાશ માટે ખુલ્લો મૂકવામાં આવશે એવા સંકેત સરકારી સ્તરેથી મળ્યા છે. અધિકારીઓના જણાવ્યું અનુસાર રાજ્ય શહેરી વિકાસ વિભાગ ડેવલપમેંટ કન્ટ્રોલ એન્ડ પ્રમોશનલ રેગ્યુલેશન્સમાં (ડીસીપીઆર) જરૂરી ફેરફાર કરવામાં આવશે. વરલી ડેરી પ્લોટનું આરક્ષણ વ્યવસાયિક વપરાશ માટે બદલવામાં આવશે. આ એરિયા માટે એમએમઆરડીએને નિયોજન પ્રાધિકરણ તરીકે પહેલાં જ નિયુક્ત કરવામાં આવ્યું છે. તેથી આ જગ્યાના પુનર્વિકાસનું કામ ઝડપી થશે એવી અપેક્ષા છે.
અજિત પવારે માફી માંગી:અંબેજોગાઈમાં વિવાદિત નિવેદનને લઈ અજિત પવારે માફી માગી લીધી
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાટો વધ્યો છે ત્યારે ઉપ મુખ્ય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવારે અકોલાના અકોટ ખાતે યોજાયેલી સભામાં એક મહત્ત્વનું નિવેદન આપ્યું. અંબેજોગાઈમાં થયેલા વિવાદિત શબ્દપ્રયોગ અંગે તેમણે જાહેર માફી માગીને વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, સભામાં બોલતી વખતે જીભ લપસી પડી, પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગવી એ મારી ફરજ છે. અજિત પવારે સ્પષ્ટ કર્યું કે, અંબેજોગાઈ અંગેની તેમની ટિપ્પણી ત્યાંની અસ્વચ્છતા વિશે હતી, પરંતુ શબ્દનો ઉપયોગ યોગ્ય નહોતો. મિડિયા દ્વારા મુદ્દો મોટો કરવામાં આવ્યો હોવા છતાં ભૂલ પોતાની જ હતી એવી સ્વીકૃતિ આપી તેમણે જાહેર માફી માગી. તેમના આ વલણને હાજર જનમેળામાં તાળીઓથી આવકાર મળ્યો.સભામાં તેમણે પોતાની કામ કરવાની શૈલી પણ રજૂ કરી. તેમણે કહ્યું કે, લોકો તેમને કડક ગણે છે, પરંતુ તેઓ કામને અગ્રતા આપે છે. મને ટી.આર.પી.માં નહીં, પરંતુ જનકલ્યાણમાં રસ છે, એમ કહી તેમણે વિરોધીઓને જવાબ આપ્યો. સવારે છ વાગ્યાથી કામમાં ઝંપલાવવું એ મારી આદત છે, અને એ જ કારણે લોકો મને વારંવાર જિતાડે છે, એમ તેમણે જણાવ્યું. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના મુદ્દે પણ પવારે તીખો હુમલો કર્યો. તેમણે રાજકીય પ્રણાલીમાં પારદર્શિતા જરૂરી હોવાનું કહી ચેતવણી આપી કે, જનતાના પૈસાની ઉચાપત કરીને રાજકારણ કરનારાને અમે ખુલ્લા પાડીશું. નગર પ્રમુખોની નજીકના લોકો જ કોન્ટ્રાક્ટ લેવાની પ્રથા વધતા વિકાસની ગુણવત્તા પર અસર થતી હોવાની તેમણે ટીકા કરી. અકોટની સભામાં કાર્યકરો અને જનસમૂહનો મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ પવાર માટે સકારાત્મક સંદેશ માનવામાં આવે છે. એક બાજુ તેઓએ વિવાદિત શબ્દપ્રયોગ માટે માફી માગી પોતાની છબિ સુધારવાનો પ્રયત્ન કર્યો, જ્યારે બીજી બાજુ વિકાસના દાવા અને વિરોધી ઉપર આક્રમક હુમલા કરીને રાજકીય સમતોલ જાળવ્યો. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં આ વલણ મતદારોને કેટલું ભાવે છે તે જોવાનું હવે રસપ્રદ બન્યું છે.
પાર્થને સંડોવતું જમીન પ્રકરણ ગરમાયું:અજિત પવારના રાજીનામા માટે દબાણ
પુણેના વિવાદાસ્પદ જમીન વ્યવહાર પરથી રાજ્યના રાજકારણમાં જોરદાર ધમાચકડી મચી છે. ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના પુત્ર પાર્થની અમેડિયા કંપની પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. હવે સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ બુધવારે આ વ્યવહારમાં તથાકથિત ગેરરીતિનો પર્દાફાશ કર્યો. દમણિયાએ કહ્યું કે વિગત અનુસાર પુણેની 40 એકર સરકારી જમીન સંબંધમાં અમેડિયા કંપનીએ ડેટા સેન્ટર શરૂ કરીશું એવું ખોટું કહીને ફક્ત રૂ. 500ની સ્ટેમ્પ ડ્યુટી ભરીને રાહત મેળવી એવો આરોપ તેમણે કર્યો. આ પછી તેમણે અજિત પવારના રાજીનામાની માગણી કરી છે.દમણિયાએ જણાવ્યું કે અમેડિયા કંપની દ્વારા સુપરત કરાયેલા લીડ ડીડ અને દસ્તાવેજોમાં ડેટા માઈનિંગ, આઈટી સેવા અને સાઈબર સુરક્ષા પ્રકલ્પ ઊભો કરવાનો ઉલ્લેખ છે. તેમાં 98 લાખનું રોકાણ હોવાની નોંધ કરાઈ છે, પરંતુ વાસ્તવમાં આ વ્યવહાર જમીન વેચાતી લેવા માટે હોવાની શંકા છે. બજારમૂલ્ય સેંકડો કરોડ હોવા છતાં જમીન પર ફક્ત રૂ. 500નો વ્યવહાર કરવાનું કારસ્થાન કરાયું હોવાનો આરોપ તેમણે કર્યો. આટલું મોટું પ્રકરણ જિલ્લાધિકારીએ પાલકમંત્રી અજિત પવારને જાણ કર્યા વિના કઈ રીતે થયું એવો પ્રશ્ન પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. દમણિયા અનુસાર કેન્દ્ર સરકારે આ પ્રકરણમાં 16 જૂને જ જિલ્લાધિકારીને પત્ર મોકલીને તુરંત હસ્તક્ષેપ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સ્થાનિક પ્રશાસને આ નિર્દેશ તરફ દુર્લક્ષ કર્યાનું સ્પષ્ટ થાય છે. આથી સંપૂર્ણ પ્રકરણમાં રાજકીય દબાણ અને સંરક્ષણ મળ્યું છે, એવો તેમણે દાવો કર્યો હતો. જમીન વ્યવહારની કિંમત આશરે રૂ. 1800 કરોડ છે. આટલી મોટી ગેરરીતિમાં સંબંધિત મંત્રી અજાણ હોય તે માની શકાય એમ નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ મુદ્દા પરથી દમણિયાએ રાજ્ય સરકારને ખુલ્લી પાડી છે. તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકરણમાં તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને અજિત પવારનું તુરંત રાજીનામું લઈ લેવું જોઈએ. રાજીનામું નહીં લેવાય તો બધા પુરાવા અમિત શાહ પાસે લઈ જઈશ. આ પ્રકરણમાં નીમેલી એસઆઈટી પર પણ અવિશ્વાસ વ્યક્ત કરીને તેમણે સમિતિ બરખાસ્ત કરવાની માગણી કરી છે. તપાસ ટીમમાં જિલ્લાના અધિકારી મોટે પાયે હોવા તે તપાસ પર અસર કરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચશે પ્રકરણરાજકીય ક્ષેત્રમાં આ આરોપને લીધે પ્રચંડ ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં ચૂંટણી માથે છે ત્યારે વિરોધીઓને ધાર્યું મળી ગયું છે. અજિત પવાર કામકાજ પર આધારિત નેતૃત્વ માનવામાં આવે છે. જોકે વારંવાર તેમનું નામ જમીન, સિંચાઈ અને આર્થિક ગેરરીતિમાં આવતું રહેવું તે તેમને માટે મોટો રાજકીય આંચકો નીવડી શકે છે. આ આરોપો પર અજિત પવાર હવે ચોક્કસ શું પ્રતિક્રિયા આપે છે તેની પર સૌની નજર રહેશે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચનારું આ પ્રકરણ મહાયુતિ સરકારની પ્રતિમા પણ બગાડી શકે છે, એવી ચર્ચા ચાલી રહી છે.
આરોપી ઝડપાયો:રાજ્યભરમાં પાર્ક થયેલી કારના કાચ તોડીને કિંમતી સામાન ચોરતો રીઢો આરોપી ઝડપાયો
પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદરથી કિંમતી સામાન ચોરતો રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી અગાઉ આ પ્રકારના રાજ્ય ભરમાં 25 થી વધારે ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. હરણી બાલાજી પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી હોન્ડા સિવિલ કારનો કાચ તોડી ચોરી થઈ હોવાની ફરિયાદ ચાર દિવસ અગાઉ હરણી પોલીસ મથકે નોંધાઈ હતી.ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજાએ આ પ્રકારની ચોરી કરતા ઝડપાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી હતી. હરણી વારસિયા રોડ ઉપરથી પસાર થતા અહેમદ ઉર્ફે શાહરૂખ શૌકતખાન પઠાણ રહે ભરૂચને અટકાવ્યો હતો.પૂછપરછ દરમ્યાન એને ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ગિલોલ, લોખંડના છરા પણ જપ્ત કર્યા હતા.ચોરીના લેપટોપ, રોકડ રકમ મળી 78 હજાર ઉપરાંતનો સામાન જપ્ત કર્યો હતો. વાઈબ્રેશન સેન્સર બંધ કરી દેવાથી સાયરન વાગતી નથીઆધુનિક કારમાં સેન્સર લાગેલા હોય છે.જે કારના દરવાજા, ડેકી અને બોનેટ ને કોઈ અડકવાથી વાગે છે. એમાં વાઈબ્રેશન સાયરન પણ હોય છે.પરંતુ કોઈ પ્રાણી કે અન્ય કાર ને અડે તો તરત સાયરન વાગે છે. જેના કારણે મોટાભાગના લોકો વાઈબ્રેશન સાયરન બંધ કરાવી દે છે.ચોરીના આ મામલામાં જો વાઈબ્રેશન સાયરન ચાલુ હોત તો કાચ તોડતા જ સાયરન વાગ્યું હોત તસ્કર ભાગી ગયા હોત. ડેકી તોડવાના 25 ગુનામાં સંડોવણી છે.ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા એ જણાવ્યું છે કે, આરોપી અહેમદ અન્ય આરોપી સાથે મળી કાર અને બેંક ની બહાર મોપેડની ડેકી તોડતા હતા.બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.આરોપી સામે માંજલપુર, ગોત્રી,જે.પી.રોડ, ગોરવા, નવસારી માં ગુનામાં સંડોવણી બહાર આવી છે.
લોન્ડ્રેક્સ ઈન્ડિયા 2025ના શ્રીગણેશ:ક્લીન ઈન્ડિયા સાથે લોન્ડ્રેક્સ ઈન્ડિયા 2025નો શુભારંભ
ક્લીનિંગ, હાઈજીન અને ઈન્ડસ્ટ્રિયલ ક્લીનિંગ માટે સમર્પિત ભારતનું એકમાત્ર એકીકૃત પ્રદર્શન ક્લીન ઈન્ડિયા શોની બહુપ્રતિક્ષિત 21મી આવૃત્તિનો આજે વિધિસર રીતે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે શુભાંરભ થયો. ઈવેન્ટ લિનેન કેર સોલ્યુશન્સ પર કેન્દ્રિત વિશિષ્ટ મંચ લોન્ડ્રેક્સ ઈન્ડિયા સાથે સહ- સ્થિત છે. એકત્રિત રીતે આ શો 26મીથી 28મી નવેમ્બર, 2025 સુધી એક છત હેઠળ ઈનોવેશન અને નિપુણતાનું અસમાંતર પ્રદર્શન લાવશે. ઉદઘાટનમાં પ્રોપર્ટા એન્ડ ફેસિલિટીઝ મેનેજમેન્ટના ભારત અને એપીએસીના એક્ઝિક્યુટિવ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સથીશ રાજેન્દ્રન, ડસ્ટર્સ ટોટલ સોલ્યુશન્સ સર્વિસીસ પ્રા. લિ.ના સીઈઓ શ્રી સંજીવ કુમાર એનજીએસ, ઓ'તેરીના સીઓઓ શ્રી મનોજ વનવારી, આયોજક મેસ્સી ફ્રેન્કફર્ટ એશિયા હોલ્ડિંગ્સ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને બોર્ડ મેમ્બર શ્રી રાજ માણેક, વીઆઈએસ ગ્રુપના શ્રી જયરામન નાયર, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જે પી નાયર, એડિટર-ઈન-ચીફ શ્રીમતી મંગલા ચંદ્રનનો સમાવેશ થતો હતો.
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજનારી યુનિટી ભાગ લેવા આમંત્રણ આપતા વિવાદ સર્જાયો છે. સાંસદે કહ્યું કે, આ યાત્રામાં આવવાથી તેમનામાં પરિપક્વતા આવશે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવે હેમાંગ જોષી લોકોમાં ભ્રમ ન ફેલાવે છે તેવો આક્ષેપ કર્યો હતો. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ સાંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યોજનારી યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. હેમાંગ જોષીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં તેવી વાત ચાલતી હોય છે કે તેઓ ઘણી બધી ચૂંટણીલક્ષી પદયાત્રા કરતા હોય છે. પરંતુ તેમની છબી અને તેમની પદયાત્રાઓને કારણે ચૂંટણીઓ જીતતા નથી. એટલે આ પદયાત્રા એક આદર્શ પદયાત્રા કેવી હોય, કેવી હોવી જોઈએ એ બાબતનું પણ એમને સારું એક ગુજરાત મોડલ જોવા મળશે. આ પદયાત્રામાં આવવાથી તમામ લોકો સાથે સુહાદ ભાવથી રહેવાથી એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થાય, પોલિટિકલ ગ્રુમિંગ થાય તે માટે આમંત્રણ પાઠવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ રામ કિશન ઓઝાએ આમંત્રણને પોલિટિકલ સ્ટંટ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીને ભાજપના સર્ટિફિકેટની જરૂર નથી. રાહુલ ગાંધીએ એક અલગ વ્યક્તિત્વ છે. 4 હજાર કિલોમીટરની પદયાત્રા રાહુલ ગાંધીએ કરી છે. તેઓ આવા નાના મોટા કાવા દાવા કરવાનું બંધ કરે. રાહુલ ગાંધીને બોલાવે છે તો આવતા નથી તેવો લોકોમાં ભ્રમ પેદા કર્યો છે. સાંસદે એક પરિપક્વતા રાખવી જોઈએ. સાંસદ હેમાંગ જોષીએ હજારો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે તેઓએ લોકોમાં આવો ભ્રમ ન ફેલાવવો જોઈએ.
7 દિવસમાં MSRDC પાસેથી તાબો લેવાનો આદેશ:મુંબઈના 34 ફ્લાયઓવરની દેખભાળ મહાપાલિકા કરશે
મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં બાંધવામાં આવેલા 34 ફ્લાયઓવર દેખભાળ માટે મુંબઈ મહાપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ બાબતનો નિર્ણય લીધો છે. સાત દિવસમાં એ તાબામાં લેવાનો આદેશ સંબંધિત મહાપાલિકાઓને આપવામાં આવ્યો છે. એ અનુસાર મુંબઈ મહાનગર પ્રદેશના 34 ફ્લાયઓવરની દેખભાળની જવાબદારી સંબંધિત મહાપાલિકા પર હશે.મુંબઈ મહાનગર પ્રદેશમાં ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવા એમએસઆરડીસીએ 1996માં 55 ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લીધો હતો. એ અનુસાર 34 ફ્લાયઓવર બાંધવામાં આવ્યા. એમાં મુંબઈના 27 ફ્લાયઓવરનો સમાવેશ છે. આ ફ્લાયઓવરની દેખભાળ અને રિપેરીંગની જવાબદારી અત્યારે એમએસઆરડીસી અથવા સંબંધિત ટોલટેક્સ લેનારા કોન્ટ્રેક્ટર પર છે. ચોમાસામાં ફ્લાયઓવર પરના ખાડાઓની સમસ્યા ગંભીર બને છે. મુંબઈના રસ્તાઓ પર અને ફ્લાયઓવર પર ખાડા દેખાય છે. એના પરથી વિવિધ સરકારી યંત્રણા વચ્ચે વિવાદ પણ થાય છે. મુંબઈમાં મહાપાલિકાએ ટીકાનો સામનો કરવો પડે છે. આ ધ્યાનમાં લેતા મહામુંબઈમાં એમએસઆરડીસીએ બાંધેલા 34 ફ્લાયઓવર મહાપાલિકાને દેખભાળ માટે સોંપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ સંબંધી જીઆર ટૂંક સમયમાં સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી જારી કરવામાં આવશે.
લાંચખોરો ઉપર તવાઈ:એક વર્ષમાં 61 ક્લાસ વન અધિકારી ACBની જાળમાં
છેલ્લા સાડા દસ મહિનામાં 61 ક્લાસ વન અધિકારીઓ એન્ટિ કરપ્શન બ્યુરોની જાળમાં અટવાયા છે. ઉપરાંત વધુ આંચકાજનક વાત એટલે છેલ્લા બે વર્ષમાં લાચખોરીની કાર્યવાહીમાં પકડાયેલા અધિકારીઓ પર સસપેન્સન કે બરતરફીની કાર્યવાહી કરવા માટે પ્રશાસનને મૂરત મળ્યું નથી એવી માહિતી એસીબીના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. હજી પણ 209 લાચખોરોનું સસપેન્સન થયું નથી. તેથી તેઓ હજી પર ફરજ બજાવી રહ્યા છે. એમાં સૌથી વધારે ક્લાસ વન અને ક્લાસ ટુના 72 જણનો સમાવેશ છે. એસીબીના આંકડાઓ અનુસાર 1 જાન્યુઆરીથી 17 નવેમ્બર દરમિયાન 597 છટકા ગોઠવવાની કાર્યવાહી સહિત 610 ગુનાની નોંધ થઈ છે. એમાં 904 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં હંમેશ મુજબ મહેસૂલ, પોલીસ વિભાગ અગ્રેસર છે. 61 ક્લાસ વન અધિકારીઓ અને સૌથી વધારે ક્લાસ થ્રીના 434 કર્મચારીઓ છટકામાં પકડાયા છે. 1 જાન્યુઆરી 2024થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન લાચખોરીના છટકામાં પકડાવા છતાં પ્રશાસન સસપેન્સનની કાર્યવાહી માટે ગંભીર ન હોવાનું દેખાય છે. એમાં ક્લાસ વન (36), ક્લાસ ટુ (36), ક્લાસ થ્રીન (125) અને ક્લાસ ફોરના 12 અધિકારીનો સમાવેશ છે. એમાં સૌથી વધારે મુંબઈ (47), થાણે (43), પુણે (23), નાશિક (22), નાગપુર (14), અમરાવતી (14), છત્રપતિ સંભાજીનગર (28) અને નાંદેડ (11)ના અધિકારીઓનું સસપેન્સન થયું નથી. અનેક વખત ઉપરીના આદેશથી રૂપિયાની વસૂલી થાય છે. જો કે ઉપરી અધિકારી બાજુએ રહી જાય છે અને કર્મચારીઓ પકડાય છે.
સમગ્ર ભારતભરના ઈતિહાસમાં અજોડ અને બેજોડ અને શ્રી મુંબઈના સમગ્ર જૈન સંઘોમાં પ્રથમવાર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણ નિમિત્તે એકસાથે 10,008 અઠ્ઠમનું આયોજન શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલી (વેસ્ટ)ના ઉપક્રમે આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રા અને પ્રેરણામાં માગશર સુદ - 9-10-11 અંગ્રંજી તા. 13- 14- 15 ડિસેમ્બર, શનિવાર - રવિવાર - સોમવારે આયોજિત કરવામાં આવેલ છે. આ પ્રસંગનું સંપૂર્ણ માર્ગદર્શન શ્રી ધર્મસૂરીશ્વરજી સમુદાયના શતાવધાની આચાર્ય ભગવંત શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલીના સાનિધ્ય, શ્રી પાર્શ્વનાથ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. આ પરિવાર છેલ્લા 18 વર્ષથી ભારતભરના પાર્શ્વનાથ ભગવાનના વિવિધ તીર્થોમાં જઈને પોષ -10ની આરાધના કરે છે અને કરાવે છે. યોગાનુયોગ ગોડીજી દાદાની પ્રતિષ્ઠાનું 213મું વર્ષ ચાલી રહ્યું છે. અને શતાવધાનિ આચાર્ય ભગવંત શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા.નું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને સમગ્ર મુંબઈ પર ગોડીજી દાદાનો અનહદ ઉપકાર છે અને તે દાદાની 200મી સાલગિરી નિમિત્તે મુંબઈના નગરશેઠ માતુશ્રી ગજરાબેન ગિરધરલાલ શાહ પરિવારે બદામ, કસાટા અને સકળ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્યનું અદભુત આયોજન કરેલું. તે જ પ્રમાણે આ ગોડીજી દાદાના આલંબને અત્તર પારણા, પારણા અને બહુમાન - પ્રભાવનાનો લાભ પાર્શ્વ પરિવારને આપવા સકળ સંઘોને વિનંતી કરવામાં આવી છે. સંઘોએ બોરીવલી ગીતાંજલિ સંઘના શ્રી દિલીપભાઈ 9820501560 અથવા શ્રી બિપીનમામા 9322524771 પર સંપર્ક કરીને પોતાના સંઘના અઠ્ઠમના નામો લખાવી દેવા તેમ જ અત્તર પારણા અને પારણાના સમગ્ર ખર્ચનો લાભ શ્રી ગીતાંજલિ સંઘને આપવા નમ્ર વિનંતી કરી છે. આ નિમિત્તે શ્રી ગીતાંજલિ જૈન સંઘમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ દિવસે તા. 13 ડિસેમ્બર શનિવારે શ્રી વર્ધમાન શક્રસ્તવનું અનુષ્ઠાન કરવામાં આવશે અને બીજા દિવસે તા. 14 ડિસેમ્બર રવિવારે કોરા કેન્દ્રમાં 1008 શ્રી પાર્શ્વનાથ પૂજન અને ત્રીજા દિવસે તા. 15 ડિસેમ્બર સોમવારે 1008 કમળથી પરમાત્માની દિવ્ય આરાધના કરવામાં આવશે. ત્રણેય દિવસે રાત્રિ સંધ્યા ભક્તિ જિનાલયમાં રાખવામાં આવેલ છે.
ધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને હસ્તે 9મા આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ મેન્યુફેકરર્સ ફેર 2025નું ઉદઘાટન બુધવારે સવારે નેસ્કો એક્ઝિબિશન સેન્ટર, હોલ નં. 4, ગોરેગાવ પૂર્વમાં થયું. સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન તરફથી અને મહારાષ્ટ્ર સરકારના વસ્ત્રોદ્યોગ વિભાગના સહયોગમાં આયોજિત પ્રદર્શનમાં માજી વસ્ત્રોદ્યોગ મંત્રી અને સોલાપુરના વિધાનસભ્ય શ્રી સુભાષ દેશમુખ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. આ પ્રદર્શનમાં 150થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સહભાગી હોઈ 30,000 યુનિફોર્મ ડિઝાઈન્સ, 15,000 ફેબ્રિક ઈનોવેશન્સનું પ્રદર્શન કરાયું છે.
સરકારી તિજોરી પર તાણ:કોન્ટ્રેક્ટરોના 19 હજાર કરોડ જેટલી રકમ ચુકવવાની બાકી
કોન્ટ્રેક્ટરોના બિલ ચુકવવાના મોટા પ્રમાણમાં હોવાથી આંદોલન કરવામાં આવ્યું હતું. આખરે સરકાર તરફથી રસ્તા, પુલ, સરકારી કાર્યાલયો, સરકારી ઈમારત બાંધવી તેમ જ દેખભાળ-રિપેરીંગ પેટેના બાકી રહેલા બિલ કોન્ટ્રેક્ટરોને ચુકવવામાં આવ્યા છે. અત્યાર સુધી 20 હજાર કરોડ રૂપિયાના બિલ ચુકવાયા અને હજી લગભગ 19 હજાર કરોડ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. આ બિલ ચુકવવાના હોવાથી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવનારી પૂરક માગણીઓમાં 10 હજાર કરોડ રૂપિયાની પૂરક માગણી રજૂ કરવામાં આવશે. ચૂંટણીના ટાંકણે જાહેર કરવામાં આવેલી લોકપ્રિય ઘોષણાઓના કારણે સરકારી તિજોરી પર મોટા પ્રમાણમાં તાણ આવતો હતો. લાડકી બહેન યોજના માટે 45 હજાર કરોડ રૂપિયાનો ભાર સરકારે ઉંચકવો પડે છે. પરિણામે એનો તાણ બધા જ સરકારી ખર્ચ પર આવ્યો હોવાથી કોન્ટ્રેક્ટરોના બિલ મોટા પ્રમાણમાં ચુકવવાના બાકી રહ્યા. કોન્ટ્રેક્ટરો તરફથી વારંવાર એના માટે માગણી કરવામાં આવતી હતી. સાર્વજનિક બાંધકામ મંત્રી શિવેન્દ્રરાજે ભોસલેને પણ કોન્ટ્રેક્ટરોએ નિવેદન આપ્યું હતું. એ પછી સરકાર તરફથી બિલ ચુકવવા પર ભાર મૂકવામાં આવ્યો. સાર્વજનિક બાંધકામ વિભાગ તરફથી 2024-25ના આર્થિક વર્ષમાં જાન્યુઆરીથી માર્ચ 2025ના ત્રણ મહિનામાં વિભાગે રસ્તા અને ઈમારતોના બાકી રહેલા બિલ ચુકવવવા માટે 10 હજાર 41 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરણ કર્યું. 2025-26ના આર્થિક વર્ષમાં 12 હજાર 345 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું. અત્યાર સુધી કુલ 20 હજાર 799 કરોડ રૂપિયા બાકી રહેલા બિલ પેટે ચુકવવામાં આવ્યા છે. હજી પણ રસ્તા અને ઈમારતોના કામના 19 હજાર 502 કરોડ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. સ્ટેટ હાઈવે અને મુખ્ય ડિસ્ટ્રિક્ટ હાઈવે યોજના અંતર્ગત 16 હજાર 704 કરોડ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. ચાલુ વર્ષમાં આ યોજના માટે બજેટમાં 5 હજાર 585 કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કર્યા પછી 11 હજાર 119 કરોડ રૂપિયા ચુકવવાના બાકી રહે છે. આ બિલ અને કામના નવા બિલ ધ્યાનમાં લેતા વિભાગે પૂરક માગણી તેમ જ કેન્દ્ર સરકારની વ્યાજ વિનાની લોન યોજનામાંથી ભંડોળ ઉપલબ્ધ કરવાનું નિયોજન કર્યું છે. મુંબઈ મંડળમાં 411 કરોડ બાકીદરમિયાન સાર્વજનિક બાંધકામ વિભાગના એકલા મુંબઈ મંડળમાં કોન્ટ્રેક્ટરોના 411 કરોડ 79 લાખ રૂપિયાના બિલ ચુકવવાના બાકી છે. મુંબઈ મંડળમાં ઈલાકા શહેર, મધ્ય મુંબઈ, ઉત્તર મુંબઈ, એકાત્મિકૃત ઘટક અને ઈમારત બાંધકામ જેવા વિભાગનો સમાવેશ છે. મુંબઈમાં મંત્રાલય, વિધાનભવન, રાજભવન, નવું પ્રશાસકીય ભવન, હાઈ કોર્ટ, મંત્રીઓના સરકારી બંગલા, વિધાનસભ્ય નિવાસ, પોલીસ મુખ્યાલય સહિત જજ, સનદી અધિકારી, રાજ્ય સરકારી અધિકારીના નિવાસસ્થાન છે. આ સરકારી ઈમારતોની દેખભાળ અને રિપેરીંગ પર સરકારે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે.
ભાસ્કર ઈનસાઈડ:છોટાઉદેપુરથી આવતી એસટી બસમાં લવાતી વિદેશી દારૂની 502 બોટલ સાથે ત્રણ ઝડપાયા
છોટાઉદેપુરથી એસટી બસમાં દારૂના ચાર કોથળા લઈ બેઠેલા ત્રણ ઇસમો ને ઝડપી પાડી પોલીસે 502 વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી. છોટાઉદેપુર થી ગારિયાધાર જતી એસટી બસમાં દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમી કપુરાઇ પોલીસ મથકના પીઆઈ ડી.સી.રાઓલને મળી હતી.જેના આધારે ટીમને કપુરાઇ ચાર રસ્તા પાસે વોચ ગોઠવવા સૂચના આપી હતી. પોલીસની ટીમના હરદીપસિંહની ટીમે અટકાવી હતી અને અંદર જઈ શંકાસ્પદ કોથળા અને એ લઈ એક કિશોર સહિત ત્રણની તપાસ કરી હતી. કોથળાની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 484 દારૂની બોટલો મળી આવી હતી. દારૂ ભરેલા કોથળા લઈને આવેલા ત્રણની પૂછપરછ કરતા એક ગુમાનભાઈ કાળુભાઈ ધાણક રહે છોટાઉદેપુર, સિકંદરભાઈ ઉદેસિંહ ધાણક રહે, છોટાઉદેપુર તથા એક કિશોરને પોલીસે ઝડપી, વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂ-બિયરની 502 બોટલો કિંમત 71,904 નો જથ્થો જપ્ત કર્યો છે. હાઇવે પર ચેકિંગના કારણે બૂટલેગરો એસટી બસમાં દારૂ લાવતા થયાછોટાઉદેપુર જિલ્લાની સરહદો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે, ત્યાં ના સરહદી વિસ્તારોમાં થી દારૂનો જથ્થો લાવવામાં આવે છે. લોકો વાહનો મારફતે દારૂનો જથ્થો લાવતા હતા. જેના ઉપર પોલીસે ચેકીંગ કરી ઝડપી પાડ્યા હતા. બાદમાં બૂટલેગરો કેનાલના રસ્તે મોપેડ અને બાઇક ઉપર દારૂ લાવતા હતા. એમ સ્ટેટ મોનીટરીંગ સેલે એક સાથે વીસ બાઇક અને મોપેડ ઉપર લવાતો દારૂ ઝડપી પાડ્યો હતો.પરિણામે બૂટલેગરોએ રણનીતિ બદલી એસટી બસમાં દારૂની હેરાફેરી કરવા માંડ્યા હતા.
સિટી એન્કર:કાંદિવલીની કોલેજ દ્વારા ‘વિજ્ઞાસા– વિજ્ઞાન કી જિજ્ઞાસા'નું આયોજન
કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત શ્રી ટી.પી. ભાટિયા જુનિયર કૉલેજ ઓફ સાયન્સને આંગણે તાજેતરમાં ૧૬મા વિજ્ઞાનોત્સવ ‘વિજ્ઞાસા – વિજ્ઞાન કી જિજ્ઞાસા'નું સફળ આયોજન થયું હતું, જેમાં દેશભરમાંથી સ્ફલ્સ અને વિધાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. કોલેજને આંગણે યોજાયેલા ભવ્ય વિજ્ઞાનોત્સવના બે દિવસીય મહોત્સવમાં મહારાષ્ટ્રના મુંબઈ. પાલઘર, ઔરંગાબાદ વગેરે જિલ્લાઓ ઉપરાંત ભારતના કેરળ, તમિલનાડુ વગેરે પ્રાંતોથી પ્રતિભાશાળી યુવાઓની ૫૪ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રથમ દિવસે શ્રી ટી.પી. ભાટિયા કૉલેજ દ્વારા GROK લીમમાઈનના સહયોગથી ‘ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી એન્ડ એન્વાયરમેન્ટ’ શીમ હેઠળ ધોરણ ૭ થી ૧૦ની વીસ ટીમોએ આરિ્ટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) આધારિત વિવિધ વર્કિંગ અને નોન-વર્કિંગ મૉડેલો રજૂ કર્યા; જેમાં કચરાનું વિભાજન, કાર્બન ડાયોક્સાઈડ ડીટેક્શન, કોલ માઇન સલામતી, પાણી શુદ્ધિકરણ અને પ્રિસીઝન ફાર્મિંગ જેવા વાસ્તવિક જીવનના પ્રશ્નોને કેન્દ્રમાં રખાયાં હતાં. આ કાર્યક્રમમાં મખ્ય મહેમાન તરીકે અમિત તિવારી (કોનવેલો એન્જિનિયરિંગ કંપનીના સ્થાપક) અને ડૉ કાર્તિક નાગરાજન (ઈનોવેટર એમ્બેસેડર, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન (ઈસરો)) ઉપસ્થિત રહ્યા હતા. દિવસના અંતે પરસ્ક્રાર વિતરણ સમારંભ યોજાયો. જેમાં વર્કિંગ મોડલના વિજેતા ચિલ્ડ્રન્સ એકેડેમી, અશોક નગર, કે.એલ પોંડા હાઈસ્કૂલ, દહાણ અને મુંબઈ પબ્લિક સ્કુલ તથા નૉન- વર્કિંગ મોડેલના વિજેતા પંચોલિયા સ્કુલ અને આર જે. મંત્રા સ્કુલ રહ્યા હતા. જીવન વિકાસ શિક્ષણ સંસ્થા (JVSS) સંચાલિત શ્રી એસટી. કદમ સ્કુલ, પાલઘર અને ડૉ. એસડી. વર્તક વિદ્યાલય. બોઈસરને રાઈઝિંગ સ્ટાર એવાર્ડ પ્રાપ્ત થયો હતો. બીજા દિવસે વિજ્ઞાસા- નેશનલ સાયન્સ કિ્વઝનું આયોજન થયું હતું જેનું સંચાલન પ્રસિદ્ધ કિ્વઝ માસ્ટર ગેસ્ટન ડિ’સોઝાએ કર્યું, આ કિ્વઝના અંતિમ વિજેતાઓ હતા: એસ.એચ અગરવાલ ઇન્ટરનેશનલ સ્કુલ. ચિલ્ડ્રન્સ એકેડેમી. અશોક નગર (પ્રથમ રનર-અપ),રોયલ ગર્લ્સ સ્કુલ (બીજા રનર-અપ), શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર (તતીય રનર-અપ)કૉલેજ મેગેઝિન ‘વિજ્ઞાસા- વિદ્યા પરમં બલમ'નું વિમોચન આ પ્રસંગે કૉલેજ મેગેઝિન ‘વિજ્ઞાસા- વિદ્યા પરમં બલમ'નું વિમોચન માનનીય ટ્રસ્ટીઓ, પ્રમુખ મહેશ શાહ અને ઉપપ્રમખ મહેશ ચંદારાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રિન્સિપાલ ડૉ. સંગીતા શ્રીવાસ્તવે તમામ ટીમોનું સ્વાગત કર્યુ હતું. સમીર ખસનીસ દ્વારા ખાસ યુનેસ્કો માન્યતા માટે ૧૨ કિલ્લાઓનો પ્રચાર કરતી એક ટૂંકી ફિલ્મની રજૂઆત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે લકી ડો અને બમ્પર ઈનામઆ વર્ષે આ મહોત્સવમાં એક નવીન આકર્ષણ ઉમેરાયું હતું. ‘લકી ડ્રો અને બમ્પર ઈનામ’ જે અંતર્ગત સ્થાનિક બમ્પર પ્રાઇઝ ચિલ્ડ્રન્સ એકેડેમી, મલાડ(પૂર્વ)ના રોનક બિહાનીને સાયકલ અને બહારગામથી આવેલા માટે બમ્પર ઈનામમાં આંધ્ર પ્રદેશની જીએનઆરએમસી સ્કુલના મુખલપતિ ચરણતેજાને સ્માર્ટ વૉચ ભેટ મળી હતી. વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન અનુભવઆ કાર્યક્રમમાં ભાગ લેનારી શાળાઓએ આયોજક સંસ્થાને આ સફળ આયોજન બદ્દલ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઑન અનુભવથી પોતાની કુશળતા અને સમસ્યા ઉકેલવાની શકિ્તને વિકસાવવાની તક આપવા બદ્દલ આયોજક સંસ્થાનો આભાર માન્યો હતો.
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હિસ્ટ્રીના પેપરમાં ગંભીર છબરડો સર્જાયો હતો. ટીવાયના વિદ્યાર્થીઓને એમએનું પેપર આપવામાં આવ્યું હતું. જેના પગલે વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું હતું. આ વિદ્યાર્થીઓને પ્રશ્નો લખાવામાં આવ્યા છે. 4 વાગ્યે શરૂ થતાં પેપર માટે વિદ્યાર્થીઓના અડધો કલાક પ્રશ્નો લખાવામાં સમય બગાડયો હતો. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં 25 નવેમ્બરના રોજ મંગળવારે ટીવાય બીએની સેમ 5માં કોર 7 હિસ્ટ્રીનું પેપર હતું. જેમાં એટીકેટીની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને એમએનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું. એટીકેટીની પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ હતા જેમને આ પેપર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને કહ્યું હતું કે આ એમએનું પેપર છે જેથી સુપરવાઇઝર દ્વારા હિસ્ટ્રી વિભાગના અધ્યાપકને બોલાવામાં આવ્યા હતા. અધ્યાપકે ટીવાયનું પેપરના હોવાથી વિદ્યાર્થીઓને કહ્યું હતું કે પ્રશ્નો લખી લો અને તેના જવાબ ઉત્તરવહીમાં લખીને આપી દો. અધ્યાપકે મોઢેથી પ્રશ્નો બોલ્યા હતા અને વિદ્યાર્થીઓએ એક સાદા પેપરમાં પ્રશ્નો લખી લીધા હતા બે કલાકની 50 માર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળ્યો ના હતો. આર્ટસ ફેકલ્ટીમાં ગંભીર પ્રકારના છબરડાના પગલે દોડધામ મચી જવા પામી હતી. આટલી મોટી પરીક્ષામાં પેપર ખોટું આપવામાં આવ્યું તેના પર સવાલો ઉભા થયા છે. 6ના ટકોરે સુપરવાઇઝરે પેપર લઇને કહ્યું અમારે ઘરે જવાનું છેઆર્ટસના હિસ્ટ્રી વિભાગમાં એમએનું પેપર આપી દેવામાં આવ્યું હતુ અને બાદમાં વિદ્યાર્થીઓને પેપર માટે પ્રશ્નો લખાવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને અડધો કલાકનો સમય વધારે આપવો જોઇએ તેની જગ્યાએ 6 વાગ્યાના ટકોરે સુપરવાઇઝરે પેપર લઇ લીધું હતું અને કહ્યું હતું કે અમને ઘરે જવામાં મોડું થાય છે. બે કલાકના પેપરમાં વિદ્યાર્થીઓને સત્તાધીશોની ભૂલના કારણે અડધો કલાક ઓછો સમય મળ્યો હતો. એક્ષર્ટનલ પરીક્ષામાં પ્રશ્નો લખાવામાં આવ્યા હોવાની પ્રથમ ઘટનાએમ.એસ.યુનિવર્સિટીનો વહીવટ ખાડે ગયો છે આર્ટસ ફેકલ્ટીના હિસ્ટ્રી વિભાગમાં એક્ષર્ટનલ પરીક્ષામાં પ્રશ્નો લખાવામાં આવ્યા હોવાની યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. વિદ્યાર્થીઓએ પોતાના હાથે કાગળમાં પ્રશ્નો લખીને તેના જવાબો ઉત્તરવહીમાં આપ્યા હતા. જેના પગલે વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધ્યાપકો સામે પગલા લેવામાં આવે તેવી માંગણી પણ વિદ્યાર્થીઓએ કરી છે.
ભાસ્કર ઈનસાઈડ:મ.સ.યુનિ.માં વિદ્યાર્થી લોગ ઇન ઠપ્પ,હોલ ટિકિટ જનરેટ ન થતાં વિદ્યાર્થીઓ અટવાયા
મ.સ.યુનિવર્સિટી વિદ્યાર્થી લોગ ઇન ઠપ્પ થતાં વિદ્યાર્થીઓ અટવાયા છે. યુનિ.નું કોમ્પ્યુટર સેન્ટરનો વહીવટ ખાડામાં ગયો છે. હોલ ટીકીટ જનરેટ થઇ રહી ના હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ લોગ ઇનનો ઉપયોગ કરતા હોય છે કારણે કે તેમાં વિદ્યાર્થી તેના રોલ નંબરના આધારે તેમાંથી તેમની વિગતો મેળવતા હોય છે. વિદ્યાર્થીઓ ઇન્ટરનલના માર્ક, ફી રીસીપ્ટ, વાર્ષિક પરીક્ષાના પરિણામ, આઇ કાર્ડ, ઓવરઓલ સેમિસ્ટરની ટકાવારી સહિતની વસ્તુઓ વિદ્યાર્થીઓ જોઇ શકે છે. જોકે આ પોર્ટલ ચાલતું નથી પંરતુ સત્તાધીશોને કોઇ રસના હોય તે પ્રકારે વહીવટ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે પણ વિદ્યાર્થી પોર્ટલ ચાલી રહ્યું નથી. જવાબદાર અધિકારીઓને આ વિશે ખબર નથી. યુનિના જવાબદાર અધિકારીઓને આ વિશે કોઇ જાણકારી નથી. વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે પંરતુ સત્તાધીશોએ જાણકારી ના હોય તે પ્રકારનો વર્તાવ કરી રહ્યા છે. કોમ્પ્યૂટર સેન્ટરના કથળેલા વહીવટના પગલે શિક્ષકોને એક વર્ષથી રેમ્યુનિરેશન મળ્યું નથીયુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના કથળેલા વહીવટના પગલે શિક્ષકોને 1 વર્ષની રેમ્યુનીરેશન મળ્યું નથી. વાર વાર વિવાદમાં આવતા કોમ્પ્યુયટર સેન્ટરમાં ચાલતા વહીવટથી અધ્યાપકો કંટાળી ગયા છે. 1 વર્ષથી અધ્યાપકોએ જે ઉત્તરવહીની ચકાસણીઓ કરી અને પેપર કાઢયા તેનું મહેનતાણું ચૂકવામાં આવ્યું નથી. શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ તો વાર વાર પરેશાની ભોગવી જ રહ્યા છે.
પરિપત્ર:આરટીઓમાં ફિટનેસ નહીં કરાય, આણંદના વાહનો વડોદરા આવશે
1 ડિસેમ્બરથી આરટીઓ અને એઆરટીઓમાં જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી બંધ કરવાનો પરિપત્ર પરિવહન મંત્રાલયે જાહેર કર્યો છે. આ નિર્ણયને લીધે આણંદના ફિટનેસના વાહનો વડોદરા આવે તેવી શક્યતાઓ સર્જાઇ છે. ફિટનેસનું કામ હવે માત્ર ફિટનેસ સેન્ટરોમાં જ થશે. અત્યાર સુધી ફિટનેસ સેન્ટર ન હોય ત્યાં આ કામગીરી સ્થાનિક આરટીઓ અને એઆરટીઓ કચેરીએ થતી હતી. આ નવા પરિપત્રના પગલે 1લી ડિસેમ્બરથી આણંદ આરટીઓમાં ફિટનેસ કામગીરી પર પૂર્ણવિરામ મૂકાશે. જેથી હવે ફિટનેસના વાહનો વડોદરા આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરામાં ફિટનેસ સેન્ટરો છે. આણંદ આરટીઓના ડેટા મુજબ સરેરાશ 8500 જેટલા વાહનોના ફિટનેસ માટે રજિસ્ટ્રેશન થાય છે. જોકે હાલમાં આણંદ ખાતે માત્ર 80 ફિટનેસ જ પેન્ડિંગ છે. આ નિયમ લાગૂ પડ્યા બાદ આણંદથી વડોદરાના ફિટનેસ સેન્ટરોમાં આવતા વાહનોની સંખ્યા વધશે. આણંદમાં છેલ્લા 3 વર્ષના ફિટનેસ માટેના રજિસ્ટ્રેશન
વેઇટિંગ:શહેરના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં 12 દિવસનું વેઇટિંગ
પાસપોર્ટમાં સુધારા-વધારા કે નવો પાસપોર્ટ કઢાવવા રાજ્યભરના કેન્દ્રોમાં 1 મહિનાનું વેઈટીંગ ચાલુ છે. જોકે તત્કાલ સેવામાં 27-28 નવેમ્બરની તારીખો મળી રહી છે. જેમાં પણ લોકો અપોઈન્ટમેન્ટ લઈ રહ્યાં છે. જોકે રોજના ક્વોટામાં બુકીંગ થઈ જતાં કેટલાક સમયે તત્કાલમાં પણ અપોઈન્ટમેન્ટ ન મળી રહી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં 15 ડિસેમ્બર, અમદાવાદના બાપુનગર અને રાજકોટના પીએસકે સેન્ટરમાં 4 ડિસેમ્બર આ ઉપરાંત વડોદરા પીએસકે સેન્ટરમાં 8 ડિસેમ્બર સુધી અપોઈમેન્ટ મળી રહી નથી.
છાણી જકાતનાકા રહેતા બસ ડ્રાઈવરને 17 દિવસનો પગાર ન મળતા તે બસનું એન્જીન કંટ્રોલ મોડ્યુલ લઈને જતો રહ્યો હતો, જેને પગલે ડ્રાઈવર અને બસ માલિક વચ્ચે મારામારી થઈ હતી. બસના માલિકે ડ્રાઈવર વિરુદ્ધ ગોરવા પોલીસ મથકે અરજી કરી હતી મારામારી બાદ માલિક ડ્રાઈવરને લઈને ગોરવા પોલીસ મથકમાં પહોંચ્યો હતો, જ્યાં ડ્રાઈવરે બસનું સોકેટ પરત આપ્યું હતું. બીજી બાજૂ ડ્રાઈવર સારવાર લેવા માટે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાંથી તેણે હરણી પોલીસ મથકમાં જાણ કરતા હરણી પોલીસે તપાસ હાથ ધરી હતી. કિરીટસિંહ ગોહિલ બસ ડ્રાઈવર છે. દિવાળી પહેલા તેઓ કે ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવીંગ કરતા હતા. દિવાળી દરમિયાન તેઓએ 17 દિવસ કોલેજના ફેરા કર્યા હતા, જોકે ટ્રાવેલ્સના માલિક ભાર્ગવે 17 દિવસના 10 હજાર રૂપિયા આપ્યા નહોતા. કિરીટભાઈએ રૂપિયા માગવા કોલ કર્યા પણ ભાર્ગવે ઉપાડ્યા નહતા. જેથી કિરીટસિંહ બસનું એન્જીન કંટ્રોલ મોડ્યુલ લઈને જતા રહ્યા હતા અને ઓળખીતા ડ્રાઈવરને કહી રાખ્યું હતું કે, કોઇ પુછે તો કહેજો કે, ઈસીએમ મારી પાસે છે, જ્યારે કિરીટભાઈ બીજી ટ્રાવેલ્સમાં જોડાઈ ગયા હતા. કિરીટભાઈએ 25 દિવસ સુધી ઈસીએમ પોતાની પાસે રાખ્યું હતું. મંગળવારે કિરીટભાઈ કરજણથી બસ લઈને હરણી તરફ આવી રહ્યા હતા. ત્યારે ભાર્ગવે તેઓને રોકીને બસમાં માર માર્યો હતો અને તેઓને ગોરવા પોલીસ મથકમાં લઈ ગયા હતા. ભાર્ગવે ઈસીએમનની ચોરીની ગોરવા પોલીસ મથકમાં અરજી કરી રાખી હતી. જેથી કિરીટભાઈ ઈસીએમ પરત આપી દીધું હતું. જોકે મારના કારણે કિરીટભાઈને હાથ-પગમાં પીડા થતાં તે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાથી તેઓએ હરણી પોલીસ મથકમાં જાણ કરતા હરણી પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. 1 મહિનાનો પગાર દોઢ મહિને આપ્યો હતોકિરીટ ભાઈએ જણાવ્યું કે, 1 મહિનાનો પગાર 17 હજાર રૂપિયા આપતા નહોતા. માંગણી કરતા તેણે દોઢ મહિને પગાર આપ્યો હતો. દિવાળી બાદ ફોન ઉપાડવાનો બંધ કરી દીધા હતો. હરણી પોલીસ મથકે બાકી રૂપિયા આપવાનું કહ્યું હતું. હરણી પોલીસે ડ્રાઈવર કિરીટભાઈને અને ભાર્ગવને પોલીસ મથકે બોલાવ્યા હતા.
હાલાકી:મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 280 એસટી બસો ફાળવતા હાલાકી
આણંદ | વિદ્યાનગર રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં નિમિતે કાર્યક્રમમાં મુખ્યમંંત્રી ઉપસ્થિત રહેનાર હોવાથી ભીડ એકત્રીત કરવા માટે આણંદ ખેડા જિલ્લાના 11 એસટી ડેપોમાંથી 280 બસોની ફાળવણી કરવામાં આવી હતી. જેથી ગ્રામ્ય વિસ્તારના રૂટો પર કાપ મુકતા હજારો વિદ્યાર્થીઓ અને મુસાફરો હાલાકીઓનો ભોગ બન્યા હતા. જો કે એસ ટી બસોના અભાવે વિદ્યાર્થીઓને મુસાફરી પાસ હોવા છતાં ટ્રેન અને ખાનગી વાહનોમાં કરવાનો વખત આવ્યો હતો. ત્યારે એસ ટી બસોનું 100 ટકા સંચાલન નહીં થતાં આણંદ નવા ડેપો ખાતે મુસાફરો અને કર્મચારીઓને વચ્ચે તું તુ મે મેના બનાવો થયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના લોકલ રૂટો પર કાપ મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ વહેલી સવારે બસોના અભાવે હજારો મુસાફરોને ભટકવાનો વખત આવતાં તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
ભાસ્કર ઈનસાઈડ:સ્થાયી સભ્યને બરખાસ્ત કરતાં બે જૂથો વચ્ચે રાજકીય ધમાસણ શરૂ
આગામી દિવસોમાં પાલિકાની ચૂંટણી યોજાશે. ત્યારે વડોદરા ભાજપમાં બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક લડાઈ હવે તેની ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં જ બંદીશ શાહને સતત 8 સ્થાયી બેઠકમાં ગેરહાજર રહેવા બદલ બરખાસ્ત કરાયા છે. ત્યારે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. સૂત્રો મુજબ ભાજપનું એક જૂથ સ્પષ્ટપણે માને છે કે, સ્થાયીના કેટલાક સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારોએ રાજકીય રમત રમી બંદીશ શાહને ઠેકાણે પાડ્યા છે. બીજી તરફ બીજું જૂથ માને છે કે, પૂર્વ પ્રમુખના સમયે કામોમાં વાંધા વચકા કાઢી મુલતતી કરાવતા બંદીશ શાહની સંકલન અને સ્થાયીમાં ઉપેક્ષા થતી હોવાથી તેઓ ગેરહાજર રહેતા હતા. ચર્ચાઓ વચ્ચે બંદિશ શાહે કહ્યું કે, છેલ્લી સ્ટેન્ડિંગ છે અને હાજર રહેવા બાબતે કોઈ જાણ કરાઈ ન હતી. તે સ્ટેન્ડિંગમાં તેઓ આવવાના હતા. પરંતુ માતાને તકલીફ હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. જેથી તેઓ ન જઈ શક્યા. બંદિશ શાહના પક્ષમાં રહેતી મહિલા સભ્યોની પણ બરખાસ્તમાં ચુપકિદીનવા પ્રમુખે સભ્યોને સૂચના આપી કે કામ મુલતવી ન કરવા. જેથી સંકલનમાં કોઇની મનમાની ચાલતી ન હતી. કેટલાંકે સંકલનમાં આવવાનું જ બંધ કર્યું હતું. પૂર્વ પ્રમુખના સમયે બંદીશ શાહનો પડ્યો બોલ ઝીલાતો હતો, વિવાદમાં રહેતી બે મહિલા સભ્યો પણ સમર્થનમાં રહેતી હતી. આશ્ચર્યની વાત છે કે, સ્થાયીમાં બંદીશ શાહને બરખાસ્ત કરવાની ચર્ચા હતી ત્યારે કેમ બેમાંથી એક પણ મહિલાએ વાંધો ન લીધો કે બંદિશ શાહને જાણ ન કરી. સંકલનમાં ચર્ચા ન થઇ તે તપાસનો વિષય છે. બંદિશ શાહ સંકલનમાં જતા હતા તો સ્થાયીમાં કેમ નહીં તે પણ સવાલ છે.
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ:બોરસદના કંકાપુરા ગામે 35 ગુંઠા જમીન ત્રણ શખસોએ પચાવી પાડ્યાની ફરિયાદ
બોરસદ તાલુકાના કંકાપુરામાં આવેલી 35 ગુંઠા જમીન ત્રણ શખસોએ પચાવી પાડતા સમગ્ર મામલો વિરસદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બોરસદના બદલપુર સ્થિત નારાણયપુરા ખાતે દોલતસિંહ સુરસંગ સોલંકી રહે છે. તેમની કંકાપુરા ગામની સીમમાં સરવે નંબર 180 -1 વાળી વડીલોપાર્જિત જમીન આવેલી છે. જેમાં દાદાના અવસાન બાદ દોલતસિંહના પિતા સુરસંગ અને કાકા મથુરભાઈના નામો જમીનમાં દાખલ થયા હતા. પરંતુ વર્ષ 2012માં સુરસંગ અને વર્ષ 2023માં કાકા મથુરભાઈનું મૃત્યુ થયું હતું. જેથી જમીનની તેમણે વારસાઈ કરાવી હતી. જે દરમિયાન તેમને તેમની જમીન 20 ગુંઠા નહીં પણ 60 ગુંઠા હોવાનું જાણવા મળ્યું હતું. જમીનની વચ્ચે કેનાલ આવેલી હોય બે ભાગ પડી ગયા હતા. અને દક્ષિણ બાજુની 20 ગુંઠા જમીન પર જ તેઓ ખેતીકામ કરતા હતા. પાંચ ગુંઠા જમીન કેનાલમાં ગઈ હતી. જ્યારે બાકીની ઉત્તર ભાગે આવેલી જમીનની બાજુમાં ઉદેસિંહ દેવાભાઈની માલિકીની સરવેવાળી જમીન આવેલી હતી. જોકે, વારસાઈ કરાવતા સમગ્ર હકીકત તેમની સામે ખુલી હતી. જેમાં તેઓને જાણ થઈ હતી કે તેમની માલિકીવાળી જમીન પર ખેતર પાડાશી ઉદેસિંહના સગા-વ્હાલાઓ દોલતસિંહ રમેશ ઉર્ફે દુલો ઉદેસિંગ ગોહેલ, ભઈજી રાયસંગ ગોહેલ અને લાલયજી રાયસંગ ગોહેલે કબજો જમાવી દીધો હતો. જે અંતર્ગત તેમણે તેમને જમીન ખાલી કરવા માટે કહેતાં તેમણે આ જમીન અમારી છે અને અમે ખેતી કરીએ છીએ તેમ કહી જમીન ખાલી કરી નહોતી. જેથી દોલતસિંહે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા કચેરી દ્વારા ડોક્યુમેન્ટસની ચકાસણી કરી, તપાસ કર્યા બાદ ત્રણેય ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વિરસદ પોલીસને ફરિયાદ નોંધાવા આદેશ કરતા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બેદરકારી:51 દિવસ પૂર્વે મંજૂર ઢોરપાર્ટીની ભરતીનો ઓર્ડર ઢોરથી યુવકનું મોત થતાં અપાયો
સમા મહેસાણાનગર નજીક રખડતા પશુના કારણે બાઈક સવાર યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનામાં બેદરકારી છુપાવવા ઢોર પાર્ટીના અધિકારીઓએ બીજા દિવસે જ 4 મહિનાથી રીન્યુ નહીં કરાયેલો ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરી હાજર થવા હુકમ કર્યો હતો. 9 નવેમ્બરે મળસ્કે બાઈક સવાર સંદીપ નેગીનું મહેસાણાનગર ગ્રાઉન્ડ પાસે રખડતા પશુના કારણે મોજ નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ પણ ફતેગંજ પોલીસ અને ઢોર પાર્ટી હરકતમાં આવી હતી. યુવકના મૃત્યુ બાદ એક જ દિવસ બાદ 4 મહિનાથી રિન્યૂ ન કરાયેલા ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરની ભરતીનો હુકમ કર્યો હતો. 13 ઇન્સ્પેક્ટર-કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર તથા 8 સુપરવાઇઝરને નામ જોગ હાજર થવાનો આદેશ કર્યો હતો. પાલિકાએ 4 મહિનાથી કેટલ પાર્ટીમાં જરૂરી સ્ટાફમાં પણ કાપ મુક્યો હતો. ઘટનાનું ઠીકરૂ માથે ન ફૂટે તે માટે એક દિવસમાં કોન્ટ્રાક્ટ રિન્યૂકરી બચવાનો પ્રયાસ કર્યો હતો. કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા માટેની મંજૂરી સ્થાયીએ આપી હતીસ્થાયીએ કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરનો કોન્ટ્રાક્ટ રિન્યૂકરવા 51 દિવસ પહેલા મંજૂરી આપી હતી. સામાન્ય સભાએ પણ 12 દિવસ પહેલા મંજૂર કરી હતી. રખડતા ઢોરના કારણે યુવકનું મૃત્યુ થતાં ગણતરીના કલાકોમાં 12 દિવસ પહેલા મંજૂર દરખાસ્તનો અમલ કર્યો હતો. ઇન્સ્પેક્ટર-સુપરવાઈઝર હાજર નથી થયાસૂત્રો મુજબ જૂનથી કોન્ટ્રાક્ટ રિન્યૂનથી થતા. દબાણ-સિક્યુરિટી વિભાગના તાબા હેઠળની ઢોર પાર્ટીના 21 લોકો હાજર થયા નથી. તેઓને જીવનું જોખમ હોવાથી મળતા લાભો, કાયમી કરવા સાથે પગાર વધારાની માંગ છે. રાજકોટ પાલિકાએ ભરતીમાં નિવૃત્ત લશ્કરી જવાનનું વેતન 25 હજાર રાખ્યું છે. પરંતુ વડોદરામાં રૂ.19,950 અને સુપરવાઇઝરનું રૂ.16,500 છે.
વીજધારકોના વીજબિલ બાકી:આણંદ,બોરસદ-પેટલાદ પંથકના 36 હજાર વિજ ધારકોના 13.40 કરોડ વિજબીલ બાકી
આણંદ જીલ્લાના વિજ તંત્રએ વીજધારકોના બાકી પડતાં નાણાં વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરી છે.ત્યારે ટીમોએ સર્વે કરીને 6 માસથી આણંદ બોરસદ,પેટલાદના કુલ 36,152 ગ્રાહકોએ રૂ.13.40 કરોડ ઉપરાંત રકમ ભરપાઇ કરી નહીં હોવાનું ખુલવા પામ્યું છે. જેના ભાગરૂપે વીજ તંત્રએ અધિનિયમ મુજબ નોટીસ ફટકારીને ટુંક સમયમાં તમામ વીજધારકો વીજ મીટર કાઢી લેવા આખરી ઓપ આપી દેવાયો છે. તેમજ વહેલી તકે નાણાં ભરપાઇ કરવા સુચનાઓ આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં આણંદ શહેર, આણંદ ગ્રામ્ય,બોરસદ અને પેટલાદમાં વીજ ધાકરોને વારંવાર સુચના આપવા છતાં વીજ બીલ ભરપાઇ કરવામાં આવતા નથી.ત્યારે વડી કચેરીથી આદેશ આપવામાં આવતાં 1000 રૂપિયા થી ઉપરના તમામ વીજ ધાકરોના વીજ બીલોની બાકી પડતી રકમ વસુલાત હાથ ધરવા ટીમોએ સર્વે કર્યો હતો. જેના ભાગરૂપે 6 માસ થી બાકી હોય તેવા આણંદ શહેરમાં 2513, આણંદ રૂરલ ડિવીઝન 6898, બોરસદ 10592 અને પેટલાદ ડિવીઝનમાં 16149 સહિત કુલ 36152 વીજધારકોના 13.40 કરોડ માતબર રકમ બાકી પડતી હોય તંત્ર ચોકી ઉઠયું છે. જેના ભાગરૂપે તમામ વીજ ધારકોને આખરી નોટીસ ફટકારવામાં આવી છે. આગામી દિવસો 32 થી વધુ ટીમો દ્વારા સપાટો બોલાવીને સ્થળ પર વસુલાત કરવામાં આવશે. આ સમયે વીજધારક દ્વારા વીજ બીલ ભરપાઇ કરવામાં નહીં આવે તો વીજ કનેકશન કાપી નાંખી વીજ મીટર ઉપાડી લેવાશે. આ અંગે આણંદ જિલ્લા વીજ તંત્રના અધિકારી કે.એમ શાહે જણાવ્યું હતું કે, નિયમ અનુસાર વીજ ધારકોએ સમયસર વીજ બીલ ભરપાઇ કરી દેવા અનુરોધ કર્યો છે. તેમ છતાં વીજ ધારકો દ્વારા લાઇટ બીલ વહેલી તકે ભરપાઇ કરવામાં નહીં આવે તો વીજ કનેકશન કાપી નાંખવા સહિત ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ભાસ્કર ઈનસાઈડ:કમાટીબાગમાં નોંધણી શરૂ, યુવાનોએ કહ્યું, નંબર લીક થશે, વડીલોએ પહેલ આવકારી
શહેરના કમાટીબાગમાં સુરક્ષાની દ્રષ્ટિએ મ્યુનિ. કમિશનરે સહેલાણીઓની નોંધણી કરવાની સૂચના આપી હતી. બુધવારથી કમાટીબાગ સહિતના 4 બગીચાઓમાં આ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. કમાટીબાગમાં સાંજ સુધી 3700 લોકોએ પોતાના નામ અને નંબરની નોંધણી કરાવી હતી. કમાટીબાગ સહિત અન્ય બગીચામાં અસામાજિક તત્વોની કનડગતની મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓને ફરિયાદ મળી હતી. સહેલાણીઓની માહિતી રહે તે માટે મ્યુનિ. કમિશનરે નોંધણી કરવા સૂચના આપી હતી. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે કમાટીબાગ, હરણી સ્કલ્પચર પાર્ક, ગોત્રી ગાર્ડન અને લાલબાગ ખાતે આ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં કમાટીબાગમાં મોડી સાંજ સુધી 3700 લોકોએ પોતાના નામ અને નંબર નોંધાવ્યા હતા. એક તરફ પાલિકાની આ પહેલને સિનિયર સિટીઝનોએ હકારાત્મક ગણવી હતી. તો બીજી તરફ યુવાનોએ આ કામગીરી સામે નારાજગી જાહેર કરી છે. યુવાનોનું કહેવું હતું કે, ભવિષ્યમાં અમારા નામ અને મોબાઈલ નંબર અન્ય લોકો પાસે જાય અને તેનો દુરુપયોગ ન થાય તેની ખાતરી શું છે. આઇડી કાર્ડ જોવાતું નથી , સહેલાણીઓ સાચી નોંધણી કરે છે ખરાઇ કેવી રીતે થશે ?મ્યુનિ. કમિશનરના અભિગમને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સવારથી 4 બગીચા પર સહેલાણીઓની નોંધણી થઇ હતી. પરંતુ સહેલાણીઓની નામ અને નંબરની નોંધણી કેટલી સાચી છે તેની ખરાઈ કરાઈ ન હતી. કમાટીબાગમાં આવતા સહેલાણીઓ જાતે પોતાનું નામ અને નંબર લખતા હતા, કોઇ આઇ-કાર્ડ ચકાસાતું ન હતું. સુરક્ષાકર્મીઓ પણ સહેલાણીઓના કહ્યા મુજબ નામ-નંબર લખતા હતા. સહેલાણીઓ દ્વારા અપાતી માહિતીની ચકાસણી થઇ નથી. લોકોએ સારી પહેલ ગણાવી, કેટલાંકે નારાજગી દર્શાવીમ્યુનિ. કમિશનરની સૂચના બાદ ચાર બગીચાઓમાં સહેલાણીઓની નોંધણી શરૂ કરાઈ છે. જેમાં ઘણા લોકો આ અભિગમને આવકારી રહ્યા છે. તો કેટલાક લોકોનો સામાન્ય વિરોધ છે. આવનારા દિવસોમાં હજી વધુ બગીચાઓમાં આ પ્રકિયા શરૂ કરાશે. > મંગેશ જયસ્વાલ, ડિરેક્ટર, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ
કમકમાટીભર્યો અકસ્માત:આસોદર બ્રિજ ઉપર આગળ જતા વાહનમાં મોપેડ અથડાતા યુવકનું મોત
આંકલાવમાં આસોદર બ્રિજ પર આગળ જતા વાહનની પાછળ મોપેડ ઘુસી જતા નિસરાયાના ચાલકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે યુવકના પરિવારજનોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ તાલુકાના નિસરાયા ગામે રહેતા સંદિપકુમાર ભાઈલાલભાઈ પટેલ વાસદ ખાતે આવેલી દાળ કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે રાત્રિના સમયે તે તેની નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે, નિસરાયા જવા માટે નીકળ્યો હતો. દરમિયાન, રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ આસોદર ચોકડી પર આવેલા બ્રિજ પરથી પસાર થતી વેળાએ તે આગળ જતા વાહનની પાછળ અથડાયો હતો. જેમાં મોપેડનો કચ્ચરધાણ વળી ગયો હતો અને સંદિપને ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા આંકલાવ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી અકસ્માતના બનાવોનું સતત પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોની ગતિ પર કાબુ આવે તેવા પગલાં ભરવા જરૂરી છે.
વિવાદ:હરણી-સમા બ્રિજ પાસે નદીના પટમાં ગેબિયન વોલ બનાવવા ખોદકામ, પાલિકાએ અટકાવ્યું
વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કર્યા બાદ સમા ચેતક બ્રિજ નજીક નદીના પટમાં ખોદકામ શરૂ થતાં પાલિકાની ટીમો દોડતી થઈ હતી. ખોદકામ કરનાર જમીન માલિકે પોતાની જગ્યામાં પાલિકાને જાણ કરી કામગીરી શરૂ કરી હોવાની દલીલ કરી હતી. જોકે પાલિકાએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી હતી. શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પુર બાદ રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ₹1200 કરોડની જાહેરાત કરી હતી. જે પૈકી નદીને પહોળી કરવા 63 કરોડનો ખર્ચ કરાયો છે. નદીને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે સમા ચેતક બ્રિજ નજીક જમીન માલિક સંદીપ પટેલે નદીના પટમાં ખોદકામ શરૂ કર્યું હતું. પાલિકાને જાણ થતા જ મંગળવાર સાંજે પહોંચી કામ બંધ કરાવ્યું હતું. જોકે સંદીપ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પોતાની જમીનમાં ગેબિયન વોલ બનાવી રહ્યા છે. તેઓએ પાલિકાને 25 નવેમ્બરે અરજી આપી છે. સામેના પટમાં નદી નજીક 100 મીટર જેટલી દિવાલ હોવાથી તેમની જમીન ધોવાઈ રહી છે. જેથી આ કામ કરી રહ્યા છે. જ્યારે પાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારીઓએ સ્થળ પર કામ બંધ કરાવ્યું છે અને ગુરુવારે માપણી કર્યા બાદ કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. જમીન માલિક : મારી જમીન છે, સામે તરફ નદી નજીક 100 મીટર દિવાલ બનવાથી મારી જમીન ધોવાઈ છે એટલે દીવાલ બનાવું છું પાલિકા : સ્થળ વિઝીટ કરી કામ બંધ કરાવ્યું છે અને ગુરુવારે માપણી કર્યા બાદ કાર્યવાહી કરીશું. ખોદકામના કારણે પટમાં વાવેલા છોડને નુકસાનસૂત્રો મુજબ પટમાં જમીન માલિકે ખોદકામ કર્યું તેનાથી પટમાં રોપેલા વૃક્ષોને નુકસાન થયું છે. પિંજરા આડા થઈ ગયા છે. ચકાસણી બાદ નુકસાન હશે તો કાર્યવાહી કરાશે. ફ્લડ પ્લેન મેપમાં બાંધકામ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમનું ઉલ્લંઘન છેએનજીટીએ ફ્લડ પ્લેન મેપ સાથે અનઓથોરાઇઝ સ્ટ્રક્ચરને હટાવવાની વાત કરી છે. દિલ્હીની પાંચ જજની પ્રિન્સિપલ બેચે ઓર્ડર કર્યો હતો. હાલમાં 5 અને 10 વર્ષનો ફ્લડ પ્લેન મેપ બની ગયો છે અને હ્યુમન રાઇટ કમિશનની વિશ્વામિત્રી કમિટીએ પહેલા રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. બીજા રિપોર્ટમાં જૂના સ્ટ્રક્ચરને હટાવવાની વાત થાય ત્યારે નવું બાંધકામ ન થવું જોઈએ. નદીના પટમાંથી કાટમાળ ટુંક સમયમાં કઢાશે. એનજીટીમાં સરકાર વિરુદ્ધ કેસ કરનાર પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ પણ અનુમોદન આપ્યું કે, આ કોર્ટના હુકમનો અનાદર કહેવાય.
સ્પે. ખેલ મહાકુંભ:આણંદ ખાતે સ્પે. ખેલ મહાકુંભમાં 376 નેત્રહીન ખેલાડીઓએ ભાગ લીધો
આણંદ ખાતે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની એથલેટિક્સ, ચેસ અને ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ રાષ્ટ્રીય અંધજન મંડળના સહયોગથી મોગરીમાં વી જે પટેલ કોલેજ ખાતે 376 નેત્રહીન ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જિલ્લાની 4 અલગ-અલગ ટીમો દ્વારા નેત્રહીન ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદની એનએબીની પ્રથમ ટીમે દ્વિતીય નંબર અને એનએબી દ્વિતિય ટીમે તૃતીય નંબર પ્રાપ્ત કરી વિજેતા બની હતી. આ ઉપરાંત ક્રિકેટ તેમજ એથલેટિક્સ રમતો જેવી કે ચક્રફેક, બરછી ફેંક, ગોળાફેક, 100 મીટર દોડ, લાંબી કૂદ તેમજ ચેસ સ્પર્ધામાં પણ રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદના વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને પોતાની કુશળતા બતાવી સંસ્થાનું ગૌરવ વધાર્યુ હતું. આ પ્રસંગે આણંદ જિલ્લાના એસપી જી જી જસાણી ઉપસ્થિત રહી પ્રજ્ઞાચક્ષુ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ગોઝારો અકસ્માત સર્જાયો:આસોદર -વાસદ રોડ પર કારની ટક્કરે આધેડનું મોત
આંકલાવ તાલુકાના આસોદર- વાસદ રોડ પર રસ્તો ઓળંગતી વેળાએ અજાણ્યા કારના ચાલકે આધેડને અડફેટે લીધા હતા. સોનગઢમાં રહેતા કરમાભાઈ છગનભાઈ ગામીત આસોદર-વાસદ રોડ પરની લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજની પાછળ રહેી ત્યાં જ નોકરી કરતા હતા. મંગળવારે રાત્રિના સમયે તેઓ રોડ ક્રોસ કરીને કંઈક લેવા નીકળ્યા હતા એ સમયે અચાનક ત્યાંથી પસાર થયેલી કારે તેમને ટક્કર મારી હતી. જેને પગલે તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની મેઇન સિટી તરીકેની યજમાની મળતાં ટવીન સિટી તરીકે વડોદરા પર કળશ ઢોળાવો જોઇએ જ્યાં રમતગમતનો ઉજ્જવળ ઇતિહાસ છે. ઓલિમ્પિક્સથી માંડી અર્જુન એવોર્ડ વડોદરાના ખેલંદાઓએ મેળવ્યા છે. વડોદરાને ટ્વિન સિટી બનાવાય તો ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. વડોદરા સાથે પાવાગઢ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પર્યટનઉદ્યોગ ખીલશે. દાયકાઓથી રમતગમત નગરી તરીકે પણ વડોદરાની રાજ્યવ્યાપી ઓળખ છે. સ્પોર્ટસના આગેવાનોનોના મતે જરૂર માત્ર રાજકીય, નાગરિકી અને વહીવટી ઇચ્છાશક્તિની છે. ક્રિકેટ અને મેરેથોન જ નહીં હોકી અને એથ્લેટિક્સમાં પણ વડોદરાની પસંદગી થઇ શકે છે. કોમનવેલ્થ ગેમ્સની ટવીન સિટી બનવા 5 વર્ષ પૂરતાંકોમનવેલ્થ ગેમ્સનો ફાયદો વડોદરાને મળવો જોઇએ. સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરતું ન હોય તો કોમનવેલ્થ ગેમ્સની ટવીન સિટી બનવા 5 વર્ષ પૂરતાં છે. રાજકીય લીડરશિપ ભૂમિકા ભજવી શકે. > તેજલ અમીન, ડાયરેક્ટર, વડોદરા મેરેથોન વડોદરાના એસોસિયેશનો સરકારમાં રજૂઆત કરશેકોમનવેલ્થ ગેમ્સની ટ્વિન સિટી માટે લાયકાત અને તક બંને છે. સ્પોર્ટસ એસોસિયેશનો સરકારમાં રજૂઆત કરીશું. લિડરશિપ સાચા દિલથી રજૂઆત કરે તો સફળતા મળશે. > લક્ષ્મણ કરંજગાંવકર, બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ એસોસિયેશન. વડોદરાએ ટુરિઝમ સુવિધા વધારવી પડે, ફાયદો થશેવડોદરામાં આ રમતોત્સવના ઇન્ફ્રાસ્ટકચરની સાથે ટુરિઝમ પણ વધારવું પડશે. વડોદરાએ ટવીન સિટી માટે માર્કેટિંગ કરવું પડશે. જો કોમનવેલ્થની કેટલીક મેચો પણ મળે તો ફાયદો થશે. > સુધિર પરબ, અર્જુન એવોર્ડ વિજેતા, ક્રિકેટ કોચ ખેલાડીઓની સાથે શહેરના અમ્પાયર્સને તક મળશેવોલેન્ટિયર્સ તરીકે ખેલાડીઓ, અમ્પાયરિંગ માટે સ્પોર્ટસ પર્સન્સને તક મળી શકે. તકનો ફાયદો ઊઠાવીને સુવિધાઓ વધારવી જોઇએ. હાઇપરફોર્મન્સ સેન્ટર વિકસાવી શકાય. > વિકાસ પ્રજાપતિ, આસિ.ડાયરેક્ટર, ફિઝિકલ એજ્યુકેશન, એમએસયુ. વડોદરામાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરવામાં આવશેમ્યુનિ. કમિશનર અરૂણ મહેશબાબુએ જણાવ્યું કે, અમદાવાદમાં કોમનવેલ્થ યોજાશે તે સારી વાત છે. વડોદરામાં સુવિધાઓ તૈયાર કરીએ છીએ જેનાથી સ્થાનિકોને ટ્રેનિંગમાં ફાયદો થશે. સ્પર્ધકો પણ આવી ગેમ્સમાં ભાગ લે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીશું. જેનાથી સ્પર્ધકો આવે અને વડોદરામાં ટ્રેનિંગ લઇ આવી સ્પર્ધાઓમાં જોડાય. વડોદરા સામેના પડકારો વડોદરાના ટિવન સિટી માટેના જમાપાસાં
એકતા યાત્રામાં અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે:આણંદની તમામ સરકારી કચેરીઓ ખાલીખમ, અ રજદારોને ધરમધક્કો
સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે સરદાર પટેલ @150 રાષ્ટ્રીય એક્તા પદયાત્રાનો પ્રારંભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યો હતો. જેેને લઇને વહીવટીતંત્રની તમામ કચેરીઓના કર્મચારીઓને એકતા યાત્રામાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. જેના કારણે બુધવાર સવારથી કચેરીઓમાં એકાદ કર્મચારી સિવાય કોઇ નજરે પડતું ન હતું. મોટાભાગની કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કામ અર્થે આવેલા અરજદારને ધરમધક્કો પડતાં નારાજગી વ્યકત કરી હતી. સરદાર પટેલ એકતા યાત્રામાં સરકારે તમામ વિભાગના કર્મચારીઓને હાજર રહેવાની સુચના આપી હતી. જેથી છેલ્લા બે દિવસથી સરકારી કચેરીઓમાં મોટાભાગના કામ અટકી ગયા હતા. બુધવારના રોજ મોટાભાગના કર્મચારી એકતા યાત્રામાં જોડાય હતા.જેના કારણે જરૂરી દાખલ કે નકલો માટે આવેલા અરજદારોને ધરમધક્કો ખાવો પડયો હતો.
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ ઓફિસર સહિત ચાર પદ માટે આજે બે સેશનમાં હ્યુમીનીટીઝ બિલ્ડીંગમાં પરીક્ષા યોજાશે. નોંધનીય છે કે, ડેવલોપમેન્ટ ઓફિસરના પદની ભરતી પ્રક્રિયાને લઈને અગાઉ વિવાદનો મધપુડો છંછેડાયો હતો. જેમાં યુનિવર્સિટીમાં જ ફરજ બજાવતા એક કર્મીની ડેવલોપમેન્ટ ઓફિસર પદે પસંદગી કરવા સારૂં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા અનુભવનો સમયગાળો ઘટાડી દેવામાં આવ્યો હતો. જેને પગલે ગુરૂવારે લેવાનારી આ પરીક્ષા ન્યાયિક રીતે થશે કે કેમ તથા લાયક ઉમેદવારની પસંદગી થશે કે કેમ તેને લઈને પ્રશ્નાર્થ સર્જાયા છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ક્લાસ 1ની ડેવલોપમેન્ટ ઓફિસર, ચીફ એકાઉન્ટ ઓફિસર, કન્ટ્રોલર એક્ઝામિનેશન, ઓપરેટર ફોર ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ (ફિઝીક્સ) (જનરલ) સહિતના પદ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી ગત 13 ઓગસ્ટના રોજ નોટિફિકેશન બહાર પાડીને લાયક અંતિમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું હતું કે જેઓ લેખિત પરીક્ષા આપી શકે. યાદી મુજબ સૌથી વધુ ડેવલપમેન્ટ ઓફિસર પદે 34 ઉમેદવારની પસંદગી કરાઈ હતી. એ જ રીતે કંટ્રોલર એક્ઝામિનેશન માટે 12, ઓપરેટર ફોર ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ (ફિઝીક્સ) (જનરલ) માટે 4 અને ચીફ એકાઉન્ટ ઓફિસર માટે 3 ઉમેદવારોને લાયક ગણ્યા હતા. જેમની હવે, યુનિવર્સિટીના હ્યુમીનીટી બિલ્ડીંગ ખાતે બે સેશનમાં પરીક્ષા લેવાશે. જેમાં સવારે 10.30થી 11.20માં એમસીક્યુની પરીક્ષા અને 10 મિનિટના વિરામ બાદ 11.30થી બપોરે 1 વાગ્યા સુધી ડિસ્ક્રીપ્ટીવ પરીક્ષાનું આયોજન કરાયું છે. કંટ્રોલર એક્ઝામિનેશનના ઉમેદવારની પરીક્ષા બપોરે 3.30થી સાંજે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન લેવાશે. ડેવલોપમેન્ટ ઓફિસરના પદ પર અગાઉથી જ યુનિવર્સિટી કાર્યાલયના એક કર્મીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું હોવાના ગણગણાટ વચ્ચે સત્તાધીશો દ્વારા પાંચ વર્ષ અગાઉ બહાર પાડવામાં આવેલી ભરતીમાં જે અનુભવના વર્ષ માંગ્યા હતા તે ચાલુ વર્ષે ઘટાડી દેવામાં આવ્યા હતા. એટલે કે વર્ષ 2020ની ભરતીમાં 9 વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા 5 વર્ષના એડમિનીસ્ટ્રીનો અનુભવ માંગ્યા હતા. જે ઓગસ્ટ, 2025ની ભરતીમાં આ અનુભવ અચાનક જ ઘટાડી દઈને અનુક્રમે 5 વર્ષ અને 3 વર્ષ કરી દીધો હતો.
વેધર રિપોર્ટ:ધુંધળા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 32 ડિગ્રી
આણંદ સમગ્ર રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણ ધૂધળુ બન્યું છે. તેમજ જમ્મુ કાશમીર સહિતના પ્રદેશમાં હિમવર્ષા એક સપ્તાહથી ન થતાં ઠંડા પવનોનું જોર ઘટીને ઉતર તરફથી ગરમ પવનોનું જોર વધ્યું છે. જેના કારણે આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેશે. જેથી દિવસે ગરમીનો અનુભવ થશે. રાત્રે સામાન્ય ઠંડીનું જોર રહેશે. જેથી બેવડીઋતુનો અનુભવ વર્તાશે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઠંડી જોર 2 જી ડિસેમ્બર બાદ વધશે. લઘુત્તમ પારો 5 ડિગ્રી નીચે જવાની સંભાવના છે. હાલમાં તો લઘુત્તમ અને મહત્તમ તાપામાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઉચ્ચું રહેશે. ભેજને કારણે ગરમ પવનનું જોર વધ્યું છે. એકાદ બે દિવસ ધૂધળુ વાતાવરણ રહેશે. ત્યારબાદ ભેજનું પ્રમાણ ઘટશે.
આણંદ જિલ્લામાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, લંડન સહિત દક્ષિણ આફ્રિકામાં 12.25લાખ લોકો એટલે 51 હજાર જેટલા પરિવારોવસવાટ કરે છે. વિદેશમાં નાતાલ પર્વની ઉજવણીનિમિતે ડિસેમ્બર વેકેશન જેવો માહોલ હોવાથીતેમજ દેશમાં લગ્ન સિઝનન ચાલતી હોવાથી 4હજાર વધુ એનઆરઆઇ આવે છે. અને 500થી વધુએનઆરઆઇ પરિવારના દિકરા દિકરીના લગ્નનવેમ્બર થી જાન્યુઆરી સુધીમાં યોજાય છે. લગ્નસિઝન ચાલુ થતાંની સાથે અત્યાર સુધીમાં 2230 થીવધુ એનઆરઆઇ પરિવારોનો આગમન થઇ ચુકયુંછે. 410થી વધુ એનઆરઆઇ પરિવારોના લગ્નહોવાથી જિલ્લાના 60 થી વધુ પાર્ટી પ્લોટ અને પટેલસમાજની વાડીઓમાં આગામી 8મી જાન્યુઆરીસુધી બુકીંગ થઇ ચુકયું છે. આ લગ્ન પ્રસંગો પાછળરૂા.32 કરોડથી વધુનો ખર્ચ કરાશે. ચરોતરમાં લગ્નસિઝનમાણવાની મજા જુદી છેછેલ્લા 10 વર્ષથી દુકાન દિકરાને સોપીનેનવેમ્બર ડિસેમ્બરમાં અહીં ગરમી ઓછીહોવાથી આવું છું. અહીં લગ્નસિઝનમાણવાની મજા આવે છે. લગ્નમાંસમાજના લોકો ભેગા થઇએ ત્યારેગામના વિકાસની ચર્ચા કરે છે. આઉપરાંત અહીં હાજર હોવ ત્યારેચૂંટણીમાં મતદાન કરુ છું. જેથી મે આવીસૌ પ્રથમ મારુ ફોર્મ ભરી દીધું છે. >પ્રકાશ પટેલ, એનઆરઆઇ, આંકલાવ પૌત્ર અને ભત્રીજાનાલગ્ન માટે આવ્યો છુંઅમેરીકના ન્યૂર્જસીમાં વર્ષોથી રહું છું. જોકે દરવર્ષે લગ્નસિઝનમાં આવે છે.ચાલુવર્ષે તો તેમના પૌત્રના લગ્નડિસેમ્બર નક્કી થયા છે. જેથી હું 10 દિવસવહેલો આવ્યો છે.સાથે સાથે ભત્રીજાનાલગ્ન છે. તેની તૈયારીઓ શરૂ કરી દીધીછે. જો કે મોંઘવારી વધી ગઇ હોવાથી હવેસામાન્ય લગ્નનોખર્ચ 12 થી 15 લાખરૂપિયા થતો હોવાનું જણાવ્યું હતું. >ધનંજય પટેલ, એનઆરઆઇ, બોરસદ નવેમ્બર થી ડિસેમ્બર લગ્નના મુહુર્ત ઓછા,જાન્યુઆરીમાં હજી વધુ એનઆરઆઈ આવશેનવેમ્બર મહિનામાં ચાતુર્માસ પૂર્ણ થયા બાદ 21, 24, 25 અને 26 તારીખે લગ્નશક્ય બનશે. ડિસેમ્બરમાં 2 થી 6 ડિસેમ્બર સુધી અને 11-12 ડિસેમ્બરે કુલ 7 દિવસશુભ મુહૂર્ત તરીકે માન્ય છે. જેથી મોટાભાગના એનઆરઆઇ ચાલુ વર્ષે દિકરાદિકરીના લગ્ન કરવા માટે આવી રહ્યાં છે. જેથી આ વખતે એનઆરઆઇની લગ્નો800થી વધુ થવાના છે તેમ ગોરપદુ કરતાં જગદીશભાઇ વ્યાસે જણાવ્યું હતું. 1200થી વધુ એનઆરઆઇએ મતદાર ફોર્મ ભર્યાઆણંદ જિલ્લામાં એનઆરઆઇ નું આગમન શરૂ થયું ગયું છે. ત્યારે 10 વર્ષના વિઝા ધરાવતાં કે વર્કપરમીટ ધરાવતાં એનઆરઆઇ હાલમાં વતનમાં આવ્યાં છે. તેઓ પોતાનો મતઅધિકાર ચાલુ રહે તે માટેફોર્મ ભરી દીધા છે. તો વળી કેટલાંક એનઆરઆઇ પરિવારજનો અહીં રહેતા તેઓએ તેમનામતાઅધિકારી ચાલુ રહે તે માટે ફોર્મ ભરીને તેમની સહી કરી દીધી છે. ગામ દીઠ 40થી વધુએનઆરઆઇના ફોર્મ ભરાયા છે.જ્યારે કેટલાંક આગામી દિવસોમાં આવનાર છે. તેઓ પોતાના ફોર્મભરવા માટે બીએલઓને સમય આપી દીધો છે. ખાસ કરીને દરવર્ષે આવતાં સિનિયર સિટીઝનો અનેવર્કપરમીટ પર વિદેશ રહેતા યુવકો મતદાર યાદી સુધારણા માટે ફોર્મ ભરી રહ્યાં છે. ભાસ્કર ગાઇડએનઆરઆઇએ મતદાર ફોર્મ ભરવા શું કરવુંસવાલ - મતદાર યાદીમાં એનઆરઆઇ ફોર્મભરી શકેજવાબ - વિદેશનું નાગરીત્વ ધરાવતો હોય,વર્ષોથી ત્યાં રહેતા હોય તો ના ભરી શકે. સવાલ - ભારતીય નાગરીત્વ ધરાવતા વિદેશનુંનાગરીત્વ ન ધરાવતા હોય તો ફોર્મ ભરી શકેજવાબ - વિદેશ સ્થાયી થયેલાં કે વિઝીટમાંગયેલા મતદારો ચૂંટણી પંચની વેબસાઈટwww.voters.eci.gov.ln પરઓનલાઇન ફોર્મ ભરી શકશે. સવાલ - એનઆરઆઇ તે માટે કયું ફોર્મભરવાનુંજવાબ - ફોર્મ નં 6 ભરીને સહી કરવાની રહેશેજો તે હાજરનો હોય તો કુટુંબના અન્ય વ્યક્તિસહી કરી શકશે. સવાલ - સ્ટુન્ડ વિઝા પર વિદેશ ગયેલા યુવકોફોર્મ ભરી શકશે?જવાબ - સ્ટુન્ડ વિઝા પર ગયેલા યુવકમતાધિકાર ચાલુ હોય તો ફોર્મ 6 ભરીનેઅભ્યાસ માટે ગયાનો પુરાવો રજૂ કરવો પડશે.
ચોમાસામાં સાંતલપુર-રાધનપુર પંથકમાં પડેલાં ભારે વરસાદનાં કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનાં કારણે થયેલા નુકસાનની સમીક્ષા અને પૂરની સ્થિતિ જવાનું કારણ જાણવા માટે ભારત સરકારની ટીમે રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. અને તંત્ર પાસેથી નુકસાની તેમજ પરિસ્થિતિ ઉદ્ભવવા પાછળનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો. રાધનપુર-સાંતલપુર પંથકમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા તેની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટીમની રચના કરવામાં આવી હતી. બુધવારે ભારત સરકારની ટીમે રાધનપુર-સાંતલપુર પંથકની મુલાકાત લીધી હતી. બે માસ બાદ વરસાદી પાણીથી ભરાયેલાં ખેતરોનું ટીમે નિરીક્ષણ કર્યું હતું. અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ખેતી પાકને નુકસાન જમીન ધોવાણ પશુમૃત્યુ, માનવ મૃત્યુ, મકાન નુકસાન સહિતની નુકસાની બાબતેની જાણકારી મેળવી હતી. ટીમ દ્વારા આ બાબતે સરકારમાં રિપોર્ટ કરાશે. ભારત માલા હાઈવે અને નર્મદા કેનાલનાં કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ પૂરની પરિસ્થિતિ કેમ ઉદભવી તેની કેન્દ્ર સરકારની ટીમે તંત્ર પાસે જાણકારી મેળવી હતી જેમાં ક્લાઇમેન્ટ ચેન્જના કારણે એક સાથે વધારે વરસાદ પડતાં તેમજ ભારતમાલા હાઇવે અને નર્મદાની કેનાલના કારણે વરસાદી પાણી નિકાલમાં અવરોધ થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની તંત્રના અધિકારીઓએ ટીમને જાણકારી આપી હતી. તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
પેન્શન યોજનાનો લાભ મળશે:જિલ્લાનાં 879 પ્રાથમિક શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ મળશે
પાટણ જિલ્લામાં 879 પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો (બઢતી)ની જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં જીપીએફ ફંડના ખાતાં ખોલાવવાની પ્રક્રિયા શરૂ થશે. પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો ને હાલમાં નવી પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે શિક્ષકોની માગણી હતી તેને ધ્યાને લઈ સરકારે એક એપ્રિલ 2005 પહેલાં નિમણૂક પામેલાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા નિર્ણય લીધો હતો. ત્યારે જિલ્લાનાં 922 પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટે પાટણ જિલ્લા શિક્ષણ સમિતિના દરખાસ્ત કરી છે. શિક્ષણ સમિતિ તે દરખાસ્તો ગાંધીનગર શિક્ષણ નિયામકની કચેરીને મોકલી હતી. 879 શિક્ષકોની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.જ્યારે 44 શિક્ષકોની દરખાસ્તો નાની મોટી ક્ષતિઓનાં કારણે પરત આવી છે. 879 શિક્ષકોની જૂની પેન્શન યોજના માટેની દરખાસ્તો મંજૂર થઈ જતાં તેમના નવાં જી.પી.એફ ફંડનાં ખાતાં ખોલાવવા માટેની પ્રક્રિયા શરૂ થશે. હવે જીપીએફના ખાતા ખોલાશેનાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્રભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાં 879 પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે શિક્ષણ નિયામક કચેરીએ મંજૂરી આપી છે. હવે તેમનાં જીપીએફ ખાતા ખોલવા 25થી 28 નવેમ્બર સુધી દરખાસ્ત મંગાવી છે. દરખાસ્તની ચકાસણી બાદ ખાતા ખોલા શે.
પાટણ શહેરના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પસાર થવાના મુખ્ય માર્ગ ઉપર વપરાતી ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના કારણે ભારે કાદવ કીચડ થઈ રહ્યો હોય પાલિકા સમસ્યાનું નિરાકરણ ના લાવતા અંતે મહિલાઓ રોષે ભરાઈ વિસ્તારમાં થયેલા કાદવ કિચનની ડોલો ભરીને પાલિકાના કેમ્પસમાં ફેંકી આક્રમક વિરોધ વ્યક્ત કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. રજૂઆત સમયે કોઈ હાજર ના હોય બીજીવાર મહિલાઓ આવતા નગરપાલિકાને પોલીસને બોલાવવી પડી હતી.પોલીસે મહિલાઓને સમજાવી પરત મોકલતા મામલો શાંત પડ્યો હતો. શહેરના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ભરાઈ જતા માર્ગ ઉપર ભારે કાદવ કીચડ સાથે દુર્ગંધ પ્રસરી રહી છે. આ બાબતે સ્થાનિક રહીશ પૂનમભાઈ સેનમા, મંગુબેન ભરવાડ, મહેશજી ઠાકોર અને માલસંગજી ઠાકોર સાથે વાતચીત કરતા તેમણે વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુખ્ય માર્ગ ઉપર અમારા ઘર આવેલા છે. ઘરની આગળ દૂષિત પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ થાય છે. બાળકો બીમાર પડી રહ્યા છે. અમારા પરિવારો સહિત વિસ્તારમાં રહેતા તમામ લોકોને આ ગંદા પાણીમાંથી જ પસાર થઈને જવું પડી રહ્યું છે.વાહનો પણ અવરજવર કરવા દરમિયાન સ્લીપ ખાઈ જતા તેમને ઇજાઓ પણ થઈ રહી છે. અમારી નજર સામે કેટલાય વડીલો પડ્યા છે.નગરપાલિકા દ્વારા સમસ્યા હલ કરવા માટે અમારા કનેક્શન બંધ કરી દીધા પણ ઉપર ઊંચા વિસ્તારમાં રહેલી ધરતી, અન્નપૂર્ણા, ગજાનંદ, સૃષ્ટિ સોસાયટીના ભૂગર્ભ ગટરના પાણી રેલાઈને રોટરી નગરના પ્રવેશ માર્ગ પહોંચી રહ્યા છે બે વર્ષમાં અનેક રજૂઆત કરી પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખાનગી કનેક્શનનો જોડી દેતા સમસ્યા સર્જાઈ- પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર જણાવ્યું હતું કે રોટરીનગર વિસ્તારની ભૂગર્ભ ગટરનું જોડાણ આપ્યું નથી અને એ લોકોએ ભૂગર્ભ ગટર લાઈનની અંદર પોતાની મનમાનીથી કનેક્શનનો લઈ લીધા છે એટલે તે વિસ્તારમાં ચેક કરી અને ઝડપથી આ પ્રશ્ન હલ આવે એ દિશામાં કામ કરાશે. અમે કેવા રસ્તામાંથી ચાલીએ છીએ તે ખબર પડે એટલે અધિકારીઓની ચેમ્બરો બહાર ફેંક્યોરહીશોએ જણાવ્યું હતું કે બપોરના સમયે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ કેમ્પસમાં કોઈ હાજર ન હતું. પૂછપરછ કરતાં રિસેસ છે એવું બધાએ કહ્યું હતું.એટલે અમે સૌ રહીશોએ રજૂઆત કરવાના બદલે અધિકારીઓને ખબર પડે કે અમે કેવા રસ્તા ઉપરથી પસાર થઈએ છીએ અને ક્યાં રહીએ છીએ કેવી તેમને અનુભૂતિ થાય તે માટે 5-7 ડોલો ભરીને અમે વિસ્તારમાંથી આ કાદવ કીચડ લઈ ગયા હતા. પાલિકામાં જઈને કાદવ કીચડ ફેંક્યો હતો. એક દિવસ તો આવા કાદવ કીચડમાંથી પસાર થઈ જોવે તો તેમને અમારી મુશ્કેલી ખબર પડશે.
માતર તાલુકાના હૈજરાબાદ ગામે ગ્રામ પંચાયતના મુખ્ય દરવાજા ઉપર ગામના સરપંચ દ્વારા કોઈ પણ પ્રકારની અરજદારોને કામગીરી કરવી હશે તે માટે સરપંચના સિક્કા વાળો કાગળ ચોટાળવામાં આવ્યો હતો. જેમાં આવકના દાખલા, જન્મના દાખલા, મરણના દાખલા, રેશનકાર્ડ અને જમીનની 7/12 અને અન્ય સેવાઓ માટે સરપંચ દ્વારા 100-100 રૂપિયા રકમ ભાવ લીસ્ટમાં દર્શાવવામાં આવી છે. જેને લઈ ગ્રામજનો દ્વારા ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે. માતર તાલુકાના હૈજરાબાદ ગ્રામ પંચાયતના મુખ્ય દરવાજા ઉપર ગામના સરપંચ દ્વારા સરકારી દાખલાઓ ગ્રામ પંચાયતમાંથી મેળવવા માટે સરપંચના સહી સિક્કાવાળું ભાવપત્રક લગાવ્યાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. દરેક કામ માટે રૂ.100 વસૂલાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ લોકોએ આ બાબતે ડી.ડી.ઓ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ સામે ગામ લોકોએ ગેરરીતિ આચરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતમાં આવેલ વી.સી ના રૂમમાં છેલ્લા 10 દિવસથી સરકારી કામોના ઉપયોગમાં લેવામા આવતા દાખલાઓનું અલગ અલગ ભાવ પત્રક લગાવવામાં આવ્યું હતું. જેમાં આવકના દાખલા, જન્મના દાખલા, મરણના દાખલા, રેશનકાર્ડ અને જમીનની 7/12 અને અન્ય સેવાઓ માટે સરપંચ દ્વારા 100-100 રૂપિયા રકમ ભાવ લીસ્ટમાં દર્શાવવામાં આવી છે. આ કાગળ સરપંચ પ્રિયંકાબેન પટેલના સહી સિક્કાવાળો ગ્રામ પંચાયતમાં લગાવાયો છે. લોકોએ હોબાળો મચાવતા પંચાયતમાં લગાવેલું ભાવ પત્રક લિસ્ટ ઉતારી લેવામાં આવ્યું હતું. લોકો ગ્રામ પંચાયતની બહાર આવીને હલ્લાબોલ મચાવ્યું હતું અને સરપંચ સામે આ બાબતે કાર્યવાહી કરવા માટે ગ્રામ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:નાયકામાં ખાનગી કંપનીએ વર્ષોથી પૂરી દીધેલ વ્હેળો ખુલ્લો કરવાનું શરૂ
ખેડા તાલુકાના નાયકા ગામે આવેલી અમિતારા ગ્રીન હાઈટેક કંપનીએ ચલીન્દ્રા ખારોલા ચાર નાકાથી નાયકા ગામ શરણ સુધી પસાર થતો વર્ષો જૂનો કુદરતી વરસાદી પાણીના નિકાલનો વ્હેળો છેલ્લા આઠ વર્ષથી પૂરી દઈને તેની ઉપર રોડ રસ્તાઓ બનાવતા વરસાદી પાણીનો નિકાલ અટકી પડ્યો હતો. જેનો અહેવાલ પ્રસિધ્ધ થતાં વ્હેળો ખુલ્લો કરવાનું શરૂ કરાયુ છે. ખેડૂતોને ભારે નુકસાન થતાં નાયકા સરપંચ દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરાઈ હતી. સાથે મામલતદાર , પ્રાંત અધિકારી અને સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને કંપનીના મેનેજમેન્ટ વિભાગને વહેલી તકે વ્હેળો ખુલ્લો કરવા માટે બે મહિના પહેલા જાણ કરી હતી. છતાં કંપનીએ વ્હેળો ખુલ્લો કર્યો ન હતો. જેનો અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે કંપનીએ વર્ષો જૂનો પૂરી દીધેલો વ્હેળો ખુલ્લો કરી દેવા માટે ખેડા પ્રાંત અધિકારી સુરજ બારોટ દ્વારા સિંચાઈ વિભાગને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વહેલી તકે વ્હેળો ખુલ્લો કરીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ સિંચાઈ વિભાગ પાસે મંગાવવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરાતા કંપનીએ તાબડતોડ વર્ષો જૂનો પૂરી દીધેલો વ્હેળો ખુલ્લો કરીને તેમાં મોટા સિમેન્ટના નળ ઉતારવાની કામગીરી શરૂ કરી છે.
છેતરપિંડીનો મામલો:વાસનના યુવકે માલિકીની કાર ભાડે આપી, ભાડે લેનારે કાર ગીરો આપી
ગાંધીનગરના વાસન ગામમાં રહેતા યુવકે એક કાર ખરીદી હતી અને બાદમાં તે કાર તેના મિત્રના સંપર્કથી ઉવારસદના યુવકને મહિને 20 હજારથી ભાડે આપી હતી. અગિયાર મહિનાના કરારથી આપેલી કારનો કરાર પુરો થતા કાર માલિક કાર પરત લેવા ગયો હતો. તે સમયે કાર ભાડે રાખનારે અન્ય જગ્યાએ ગીરો મુકી દેતા તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ યોગેશકુમાર રમેશભાઇ વાઘેલા (રહે, વાસન ગામ) ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી છેકે, વર્ષ 2023માં તેમણે એક નવી સ્વીફ્ટ કાર નંબર જીજે 18 ઇએ 4170 ખરીદી હતી. જ્યારે અગાઉ તેમની સાથે નોકરી કરતા અજય વેગર (રહે, સેક્ટર 4એ) તેમનો મિત્ર હતો. કારની વાત કરતા તેણે કહ્યુ હતુ કે, જો તારે ગાડી ભાડે આપવી હોય તો મારો એક મિત્ર ફેનિલ ભીખાભાઇ નાયી (હાલ રહે, સરગાસણ, સુર્ય બંગલો, મૂળ રહે, ઉવારસદ) કાર ભાડે લઇ જાય છે. જેથી બંને મિત્રો ફેનિલની સરગાસણમાં આવેલી ઓફિસે ગયા હતા, જ્યાં વાતચીત બાદ 11 મહિનાનો કરાર કરી મહિને 20 હજારના ભાડે કાર આપવામાં આવી હતી. ભાડા કરાર બાદ ફેનિલને કારના તમામ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા. જ્યારે ગત મે 2025માં કારનો કરાર પુરો થતા ફેનિલ પાસે કાર પરત લેવા માટે કાર માલિક ગયો હતો. તે સમયે કાર પરત માંગવામાં આવતા ફેનિલ બહાના બતાવતો હતો. જેથી કાર માલિક યોગેશે પોતાની રીતે તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, ફેનિલે કારને અન્ય જગ્યાએ ગીરો મુકી છે. જેથી પેથાપુર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મીત્ર મારફતે 20 હજારના 11 મહિનાના કરારથી ભાડે લીધેલી કાર ભાડે લેનારે બારોબાર અન્યને ગીરો આપી દીધી હતી. સમયગાળો પૂરો થતાં કાર માલિક કાર લેવા જતાં કાર અન્યને ગીરો આપી હોવાનું બહાર આવ્યું હતું.
કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ:આજથી સોમનાથનાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે કમોસમી વરસાદના કારણે મુલત્વી રાખવામાં આવ્યો હતો અને મેળાની તારીખમાં ફેરફાર કરી તારીખ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બરનાં સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથનો કાર્તિકી પૂર્ણિમા મેળો અનેકવિધ મનોરંજનના માધ્યમો થકી સૌરાષ્ટ્રભરની જનતાને આનંદ પ્રમોદ પૂરો પાડશે. બાળકો માટે મોજમસ્તી ભરેલા અનુકૂળ અને સલામત રાઈડ્સ ઉપલબ્ધ રખાયા છે. તેમજ તમામ સુરક્ષા તકેદારીનું પાલન કરવામાં આવ્યું છે. મેળાનો પ્રારંભ જૂનાગઢનાં રેન્જ આઈજી નિલેશકુમાર ઝાઝડિયાનાં હસ્તે 27નવેમ્બરનાં સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. આ મેળાના ઈતિહાસની વાત કરીએ તો 1955થી શરૂ થયેલ આ મેળો લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા છે. મેળામાં બાળકો માટે 50થી વધુ મનોરંજન માટેની રાઇડસ, 200 જેટલા ખાણી-પીણીના સ્ટોલ, રમકડાં, અને હસ્તકલા- ગૃહઉદ્યોગના ઇન્ડેક્ષ- સી વિભાગના વિવિધ સ્ટોલ્સ, ગુજરાત સરકાર દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન આપતો મેળો યોજાશે. જેલના કેદીઓના બનાવેલા ભજીયા સ્ટોલ, સનાતન સંસ્કૃતિને લગતા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, સોમનાથ @70 ચિત્ર પ્રદર્શની, અને કિર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, અપેક્ષાબેન પંડયા, હેમંત જોશી, હિતેશ અંટાળા, સાંતવની ત્રિવેદી, રાજલ બારોટ, બહાદુરભાઈ ગઢવી જેવા ગુજરાતી કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય, ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આધુનિક ટેકનોલોજી અને માનવબળના સમન્વય સાથે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ મેળા પરિસરને સંભાળવા માટે વિવિધ ક્લસ્ટર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનની જવાબદારી ચોક્કસ અધિકારીઓને સોંપવામાં આવી છે.
અજગરનું રેસ્કયુ:ભાણવડની વાડીમાં 9 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ
ભાણવડ નજીક વાડીમાંથી મળી આવેલા એક નવ ફુટ લાંબા અજગરનુ રેસ્કયુઅર ટીમે સફળતાપુર્વક રેસ્કયુ કરી બરડા ડુંગરમાં મુકત કરાયો હતો. ભાણવડના રોજીવાડા ગામના વાડી નજીક રાત્રિના સમયે નવ ફૂટ જેટલો લાંબો ઇન્ડિયન રોક પાયથન એટલે કે ભારતીય અજગર દેખાતા વાડી માલિક દ્વારા ભાણવડના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી તેઓ તુરંત સ્થળ પર પહોંચી જઈ અને આ મહાકાય અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં તેને તુરંત બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો.આ રેસ્ક્યુ ઓપરેશનમાં શિવ બળદ આશ્રમના પ્રમુખ અને રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ, દુદાભાઈ ભરવાડ અને અક્ષય સૂચક પણ જોડાયા હતા.
વળતરની માંગ:આખલાની લડાઇમાં 6 મહિના પહેલાં નિવૃત બેંક કર્મચારીના મોત મામલે નુકશાની પેટે વળતરની માંગ
ભાસ્કર ન્યૂઝ કેશોદ કેશોદ શહેરના એરપોર્ટ રોડ પર 6 મહિના પહેલાં 2 આખલાની લડાઇ સમયે અડફેટે ચડવાથી રિટાર્યડ બેંક કર્મચારી પ્રવિણભાઈ મૂળશંકર મહેતા ઉ. વ. 59 નું મોત નિપજ્ય હતું. આ ઘટનામાં પોલીસે યુડી/0030/2025 નંબર હેઠળ અસાધારણ મૃત્યુ નોંધ અને પંચનામું કરેલ હતું. આ ઘટનામાં ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસની હોય જયારે શહેરના જાહેર રોડ રસ્તાઓ ઉપર રખડતાં પશુઓનું નિયંત્રણ કરવા પાલિકાની જવાબદારી હોય. પરંતુ બંને સરકારી વિભાગે આ અકસ્માતની ઘટનામાં બે જવાબદારીભર્યું વલણ અખત્યાર કરતાં અકસ્માત થયાના આક્ષેપ કરી મરણ જનારના વારસો પત્ની શોભનાબેન પ્રવિણભાઈ મહેતા, પુત્રી શીતલબેન પ્રવિણકુમાર મહેતા, પુત્ર દેવાંગ પ્રવિણભાઈ મહેતાએ કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બંને કચેરી પાસે વકિલ મારફત સિવિલ પ્રોસીઝર કોડની કલમ 80 અને ગુજરાત મ્યુનિસીપલ એકટની કલમ 253 હેઠળ વૈદ્યાનીક કાનુની સંયુકત નોટિસની બજવણી કરી 49 લાખની વળતરની માંગ કરી છે. આ રકમનું ચૂકવણું કરવા 60 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. તેમ છતાં આ બંને કચેરીઓ નોટિસનો જવાબ આપી પોતાની જવાબદારીથી દૂર ભાગવા પ્રયત્ન કરશે તો મૃતકના વારસદારો કેશોદના ધારાશાસ્ત્રી એડવોકેટ એન્ડ નોટરી ડી. ડી. દેવાણી મારફત કોર્ટમાં વળતરની દાદ માંગવા કાર્યવાહી કરશે તે પહેલાં એડવોકેટ મારફત વૈધાનિક નોટિસના માધ્યમથી બંને ક્ચેરીઓ પાસે વળતરની માંગ કરી છે. આ અંગે એડવોકેટ દ્વારા આપેલ બંને કચેરીઓને નોટિસમાં ગુજરાત હાઇકોર્ટ છેલ્લી રીટ પીટીશન (પી.આઇ.એલ.) 170/2017 કેસમાં 2018ના જુદા જુદા હુકમથી ગુજરાત સરકાર અને ટ્રાફિક પોલીસ તેમન મહાનગરપાલિકએ કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેનું ડાયરેકશન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. વળતરમાં પેન્શન લોસ, દુ:ખ ત્રાસ, સહિત થતાં આર્થિક નુકસાનીની માંગબે આખલાની લડાઇમાં મરણ જનાર ભારતિય સ્ટેટ બેંકના નિવૃત કર્મચારી હોય, તેમની મૃત્યુ સમયે ઉં. વ. 59 હોય, તેમની તંદુરસ્તી કારણોસર આયુષ્ય 80 વર્ષનું અનુમાન લગાવાયું હોય, તેમના મોતના પગલે વર્ષે 3 લાખ પેન્શનનો લોસ, મૃત્યુ વખતે મૃતકના શેષ આયુષ્ય 21 વર્ષ બાકી હોય તે ગણતરી મુજબ 42 લાખ પેન્શન નુકશાની, માનસિક દુ:ખ ત્રાસ 2 લાખ, સહવાસ ગુમાવવાનું નુકશાન 5 લાખ અને અંતિમ વિધી ખર્ચ 50 હજાર મળી કુલ 49 લાખના વળતરની માંગ કરી છે.
પોલીસ કાર્યવાહી:તાલાલાનો આરોપી જૂનાગઢમાં તેના ઘરેથી પોલીસે પકડ્યો
તાલાલાના આરોપીને પોલીસે જૂનાગઢમાં તેના ઘરેથી પકડી આગળની કાર્યવાહી કરી હતી. તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે જૂનાગઢના લીરબાઈ પરામાં રહેતો ભરત ઉર્ફે કાના દાસાભાઈ ઓડેદરાનું નામ ખુલ્યું હતું. નાસતો ફરતો આરોપી ભરત ઉર્ફે કાના જૂનાગઢમાં લીરબાઈ પરા ખાતે પોતાના ઘરે હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી લઇ તાલાલા પોલીસને સોંપી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સંવિધાન દિવસની ઉજવણી:મનપામાં બંધારણના આમુખનુ વાંચન થયુ, પ્રતિજ્ઞા પણ લેવાઇ
ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે મનપા કચેરી ખાતે બંધારણના આમુખની વાંચન, પ્રતિજ્ઞા લઇ ઉજવણી કરી હતી. ભારતનું બંધારણ વિશ્વના તમામ દેશ કરતા સૌથી લાંબુ લેખિત બંધારણ છે. 2વર્ષ, 11 મહિના અને 18 દિવસની સખત મહેનત પછી 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણને અપનાવવામાં આવ્યુ હતુ. જે 26 જાન્યુઆરી 1950થી લાગુ કરાયુ હતુ. આ ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થતા શહેરી વિકાસ વર્ષ - 2025 અંતર્ગત 26 નવેમ્બરને સાંજે 4:30 કલાકે પંડિત દિન દયાળ ઉપાધ્યાય સભા ખંડ ખાતે નાયબ કમિશનર, સેક્રેટરી, ટાઉન પ્લાનર સહિતના અધિકારી તેમજ કર્મચારીઓએ આમુખનુ વાંચન કરી પ્રતિજ્ઞા લીધી હતી.
રાજ પરિવારના સભ્યનું જૈફ વયે અવસાન:પરબડી રાજ પરિવારનાં હીરબાઈમાંનું 109 વર્ષે અવસાન
ધારી તાબાનું પંખીના માળા જેવડું રજવાડી પરબડીનું તોરણ બાંધનાર દરબાર રાવતવાળા બાપુ પરિવારના હીરબાઈમાનું 109 વર્ષની અવસાન થયું છે. આશરા, ધર્મ, આદર, આવકાર, ન્યાય, નીતી, પરોપકાર, અને કોઈ પણ અતીથીઓને હૈયાંનાં ભાવથી સાચવવા અને કોઈ પણ સમાજનાં નોધારાને આધાર અને આપબળ આપવા એ આજ દિવસ સુધી આ પ્રજા વત્સલ રાજવી પરિવારની પરંપરા અને સંસ્કાર રહ્યાં છે. ત્યારે આ જાજરમાન પરિવારનાં દરબાર સ્વ. કાળુબાપુ રાવતબપુ વાળાનાં ધર્મપત્ની હીરબાઈમાનું જૈફ વયે અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ હિરબાઇએ પોતાના સમગ્ર જીવન પર્યન્ત અને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનાં પરિવાર, સગાં સ્નેહી, આંગણે આવતાં અતીથીઓ, ભિક્ષુકોને પોતાનાં સ્વજન જાણી અન્નપાણી અને આશરો આપ્યા હતા. એમના મુખેથી રાજાશાહીથી આજ દિવસ સુધીનાં દરેક સમયનાં ચડાવ ઉતાર, આપણાં પૌરાણિક રીત રિવાઝ અને પરંપરાની વાતો સાંભળવી એ સૌ કોઈ માટે જીવનનો લહાવો હતો. આશરે 150 વર્ષથી આખું કુટુંબ સંયુક્ત રીતે સ્નેહનાં તાંતણે બંધાઈ એક સંપથી અને એક રસોડે રહે છે. હિરાબાઇમાંનાં અવસાનથી તેમનાં પરિવાર જ નહી પણ સગાં સ્નેહી અને દરેક સમાજનાં લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાંનો ભારે વસવસો છે. પરબડીના રાજવી પરિવારમાં હિરબાઈમાના અવસાનથી શોક.
મંજૂરી અપાઈ:ઓખા-કાનાલુસ સુધી 141 કિમી ડબલ ટ્રેક પ્રોજેકટને બહાલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે રેલવે મંત્રાલયના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત આશરે રૂ. 2,781 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં દેવભૂમિ દ્વારકા (ઓખા) – કાનાલુસ ડબલિંગ – 141 કિમી અને બદલાપુર – કારજત ત્રીજી અને ચોથી લાઇન – 32 કિમીનો સમાવેશ થાય છે.વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલ્વે માટે સુધારેલી ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતા મળશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ''''નવા ભારત''''ના વિઝન સાથે સુસંગત છે, જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા પ્રદેશના લોકોને આત્મનિર્ભર બનાવશે, જેનાથી તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો થશે. આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આયોજનબદ્ધ છે, જે સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ-સૂચનો દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા આ બે પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો કરશે. મંજૂર થયેલ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 585 ગામોને કનેક્ટિવિટી વધારશે, જેની વસ્તી લગભગ 32 લાખ છે. કાનાલુસથી ઓખા (દેવભૂમિ દ્વારકા) સુધીનું મંજૂર કરાયેલ ડબલિંગ દ્વારકાધીશ મંદિરને ઉન્નત કનેક્ટિવિટી પ્રદાન કરશે, મુખ્ય તીર્થસ્થળ સુધીની પહોંચને સરળ બનાવશે અને સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે.
પોરબંદર SOGએ 800 ગ્રામ ગાંજા સાથે આરોપી ઝડપ્યો:₹42,500નો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર
પોરબંદર SOGએ કડિયા પ્લોટ વિસ્તારમાંથી 800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ જીગ્રેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹40,000 આંકવામાં આવી છે. પોલીસે આરોપીના કબજા ભોગવટાના મકાનમાંથી આ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. ગાંજા ઉપરાંત, પોલીસે ₹2,500ની કિંમતનો એક મોબાઈલ ફોન અને વજન કાંટો પણ જપ્ત કર્યો છે. આમ, કુલ મુદ્દામાલની કિંમત ₹42,500 થાય છે. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી)(2-બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન, આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી શ્રવણ ઉર્ફે સાવન ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વિવિધ વિભાગો દ્વારા શોધખોળ શરૂ કરી છે અને જામીન વગરની કાર્યવાહી માટે પગલાં લઈ રહી છે. પોરબંદર પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે નશીલા પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપીને સમાજમાં નશીલી દવાઓના પ્રભાવ સામે જાગૃત રહેવા અપીલ કરી છે.
પંચમહાલ LCBએ કુખ્યાત બુટલેગરને ઝડપ્યો:ગોધરાના રોનકો બારીયાને પાસા હેઠળ રાજકોટ જેલ મોકલાયો
પંચમહાલ એલસીબી પોલીસે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના રતનપુર (કાંટડી) ગામના કુખ્યાત પ્રોહી બુટલેગર રોનકકુમાર ઉર્ફે રોનકો રતનસિંહ બારીયાને પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. એલસીબીની ટીમે ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ કરવામાં આવી હતી.પંચમહાલ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે રોનકો બારીયા વિરુદ્ધ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ત્રણ ગુનાઓના આધારે પાસા કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરી હતી. આરોપીની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે પાસા હેઠળ પગલાં ભરવાની ભલામણ કરવામાં આવી હતી. આર.એ. પટેલ દ્વારા તૈયાર કરાયેલ પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયા સમક્ષ રજૂ થતાં, તેની સમીક્ષા કરવામાં આવી હતી. રોનકકુમાર ઉર્ફે રોનકો બારીયા સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવે છે તેવી નોંધ સાથે પાસાનો આદેશ મંજૂર કરવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ, એલસીબીની ટીમે આરોપીની હિલચાલ અંગે ચોક્કસ બાતમી મેળવી ખાનગી વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ રોનકકુમાર ઉર્ફે રોનકો બારીયાને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી દેવાયો છે.જિલ્લા પોલીસ તંત્રએ જણાવ્યું છે કે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે અને પ્રોહી બુટલેગરો સામે શૂન્ય સહનશીલતા દાખવવામાં આવશે.
હિંમતનગર સેશન્સ કોર્ટે તાંત્રિક વિધિના બહાને હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ પ્રાંતિજના પિલુદ્રા ગામના કાળાજી જેહાજી મકવાણાને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીને ₹25,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. આ ઘટના સાત વર્ષ પહેલા હિંમતનગર તાલુકાના ઘોરવાડા ગામે બની હતી. સરકારી વકીલ જયદીપસિંહ જેતાવત દ્વારા મળેલી માહિતી મુજબ, 14 માર્ચ, 2018ના રોજ કાળાજી મકવાણાએ ઘોરવાડાના કાસમભાઈ અલ્લારખાભાઈ મનસુરી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને પાંચ તોલા સોનાના દાગીના લીધા હતા. કાસમભાઈ વારંવાર દાગીના પરત માંગતા હતા. દાગીના પરત ન આપવા પડે તે આશયથી, કાળાજી મકવાણાએ કાસમભાઈના માથામાં લાકડાના હાથાથી ગંભીર ઈજા પહોંચાડી તેમની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે, આરોપીએ કાસમભાઈની લાશને ઓરડીમાં ખાડો ખોદી દાટી દીધી હતી. આ ઘટના અંગે તે સમયે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી હિંમતનગર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બુધવારે હિંમતનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વી.એચ. પટેલ સમક્ષ આ કેસની સુનાવણી ચાલી હતી. ન્યાયાધીશે સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી કાળાજી મકવાણાને દોષિત ઠેરવી આજીવન કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો હતો.
વન વિભાગે શહેરા પાસે લાકડા ભરેલી ટ્રક ઝડપી:પાસ-પરમીટ વગરના લાકડા સાથે ₹3.80 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેરા પંથકમાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવા સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, શહેરા રેન્જ સ્ટાફે ડેમલી ગામ પાસેથી પાસ-પરમીટ વગરના લીલા લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. શહેરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ શહેરા રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ડેમલી ગામ પાસેથી પસાર થઈ રહેલી ટ્રક નંબર GJ 16 U 8881 ને શંકાના આધારે રોકવામાં આવી હતી. તપાસ કરતાં ટ્રકમાંથી લીલા અને તાજા પંચરાઉ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકના ચાલક પાસે લાકડાના વહન માટે કોઈ પાસ કે પરમીટ નહોતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ લાકડાનો જથ્થો નડિયાદ ખાતે વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યો હતો. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રક અને લાકડા સહિત આશરે ₹3,80,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસ માટે વાહનને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડમાં ખસેડવામાં આવ્યું છે. આ દરોડા અને જપ્તીની કામગીરીમાં ખાંડિયાના રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ. ચૌહાણ, શહેરાના રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, બીટ ગાર્ડ જી.ટી. પરમાર, સી.સી. પટેલ અને એલ.ડી. રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વન સંપત્તિની હેરાફેરી રોકવા માટે સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
બોટાદમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ફિરોઝ ઉર્ફે કાજી શબ્બીરભાઈ કુરેશીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને ભુજની પાલારા ખાસ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા માથાભારે ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારામારીના ગુનાઓની ટેવવાળા માથાભારે ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ખરાડી દ્વારા બોટાદ શહેરના ગઢડા રોડ, ડોક્ટર હાઉસ પાસે રહેતા ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ફિરોઝ અનેક મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ દરખાસ્ત બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. જીન્સી રોયે મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કર્યું હતું. ત્યારબાદ બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકી અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા ફિરોઝ ઉર્ફે કાજી કુરેશીની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી. તેને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
સુરત શહેરની માત્ર 17 વર્ષની સગીરા બોલિવૂડ ફિલ્મમાં એક્ટ્રેસ બનવા અને મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઘેલછામાં ઘર છોડીને મુંબઈ ભાગી ગઈ હતી. તેના આ પગલાંથી ચિંતિત માતા-પિતાએ તાત્કાલિક ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થયાની ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે દિવસમાં જ સગીરાને મુંબઇની એક હોટલમાંથી શોધી કાઢી હતી. માતા-પિતાએ ઇનકાર કરતા સગીરાએ ઘર છોડ્યુંપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગુમ થયેલી સગીરા છેલ્લા કેટલાક સમયથી તેના માતા-પિતા સામે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાની અને મોડેલ બનવાની ઇચ્છા વ્યક્ત કરી રહી હતી. જોકે, માતા-પિતા આ વાત માટે તૈયાર નહોતા અને આ સપનાને લઈને તેમની સંમતિ ન મળતા સગીરાએ આખરે ઘર છોડી દેવાનું પગલું ભર્યું હતું. આ ઘટના બાદ માતા-પિતા અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. સગીરાએ માતાને ફોન કરી મોડલિંગની ફીના પૈસા માગ્યાગુમ થયાના બે દિવસ બાદ સગીરાએ અચાનક તેની માતાને ફોન કર્યો હતો. આ ફોનમાં તેણે મોડલિંગ માટેની ફી ભરવા માટે રૂપિયા 15,000 ની માગણી કરી હતી. આ રકમ ભર્યા બાદ જ તે પોતાના સપના પૂરા કરી શકશે તેવું તેણે જણાવ્યું હતું. માતા-પિતાએ તાત્કાલિક આ અંગેની જાણ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે.પી જાડેજાને કરી હતી. પોલીસે સગીરા પાસે QR કોડ મગાવી લોકેશન ટ્રેક કર્યુંપોલીસે આ પરિસ્થિતિને તક તરીકે જોઈ અને એક અનોખી યુક્તિ અપનાવી હતી. પી.એસ.આઇએ માતા-પિતાને સલાહ આપી કે દીકરીને પૈસા ટ્રાન્સફર કરવાને બદલે તે રકમ મોકલવા માટે કોઈનો QR કોડ મોકલવાનું કહે. દીકરીએ જ્યારે QR કોડ મોકલ્યો ત્યારે પોલીસે ઝડપથી તે કોડની વિગતો અને તેના ટ્રાન્જેક્શન ગેટવેનો ઉપયોગ કરીને સગીરાનું લોકેશન ટ્રેક કર્યું. સગીરાની ભાળ મળતા જ સુરત પોલીસ તત્કાલિક મુંબઇ પહોંચીQR કોડની વિગતોના આધારે પોલીસને જાણ થઈ કે સગીરા મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા નજીકની એક હોટલમાં રોકાઈ છે. તાત્કાલિક પોલીસની એક ટીમ મુંબઇ જવા રવાના થઈ અને હોટલમાંથી સગીરાને શોધી કાઢી હતી. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે સગીરા એકલી હતી અને તેની પાસે પૈસા પણ પૂરા થઈ ગયા હતા. પોલીસે સગીરાનું કાઉન્સિલિંગ કરી પરિવારજનોને સોંપીમોડલિંગ ક્ષેત્રે આગળ વધવાની ઘેલછામાં તે છેતરાઈ ન જાય અને સુરક્ષિત રહે તે માટે પોલીસે તેની અટકાયત કરી હતી. આખરે ઇચ્છાપોર પોલીસે સગીરાનું કાઉન્સિલિંગ કર્યું અને તેને સુરત પરત લાવી પરિવાજનોને સોંપી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરીને એક સગીરાને મોટી મુશ્કેલીમાંથી બચાવી લીધી હતી.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'ગુજરાત જોડો જનસભા' અંતર્ગત એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા સંતરામપુરના પ્રતાપુરા મેદાન ખાતે યોજાઈ હતી. આ મહાસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર વસાવાએ દારૂબંધી, ડ્રગ્સ, 'નલ સે જલ' અને મનરેગા કૌભાંડો જેવા મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં મહીસાગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શહેરમાં રહેતી એક યુવતીને પહેલાં તો પ્રીતિ ઘેટીયા નામની મહિલા દ્વારા મુકેશ સોલંકીના સંપર્કમાં લાવવામાં આવી, ત્યારબાદ બંનેએ મળીને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું, ન્યુડ ફોટા-વીડિયો ઉતારીને બ્લેકમેલ કરી કુલ રૂ. 4.25 લાખ પડાવી લીધા અને યુવતીના લગ્ન પણ ધમકીઓ આપીને રોકાવી દીધા. ખાસ વાત એ છે કે, આરોપી મુકેશ સોલંકી પડધરીની સરકારી શાળામાં શિક્ષક છે, જ્યારે પ્રીતિ ઘેટીયા મોરબી જિલ્લામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. યુવતીની ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસે બંને વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકીના ગંભીર ગુના નોંધી તપાસ શરૂ કરી છે. ન્યુડ ફોટા પાડી વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મુકેશ અને પ્રીતિએ ગુનાહિત કાવતરું રચી યુવતીને ફસાવ્યા બાદ આરોપી મૂકેશે સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ ખાતે પ્રીતિના ફ્લેટ પર યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના ન્યુડ ફોટા પાડી વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કટકે-કટકે તેની પાસેથી રૂ.4.25 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા. તેમજ આરોપી મૂકેશે યુવતીને કારના ચાર્જિંગ વાયર વડે તેમજ કળા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. યુવતીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેણીના લગ્ન સમયે પણ આ બન્ને શખસો અહીં ધસી આવી યુવતીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા હતા. જેથી અંતે કંટાળી જઈ યુવતીએ આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર યુવતી પ્રથમ પ્રીતિના સંપર્કમાં આવી હતી અને પ્રીતિ દ્વારા મુકેશનો સંપર્કમાં કરાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ સોલંકી પડધરી તાલુકાના રોહીશાળા ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જયારે પ્રીતિ ઘેટીયા મોરબી જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યોરાજકોટ શહેરમાં રહેતી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોક પાસે રહેતા મુકેશ રવજીભાઈ સોલંકી અને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201માં રહેતા પ્રીતિબેન ઘેટીયાના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે BNS કલમ 64(2), એમ,308(2), 351(3), 115(2), 61(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નેક્સસ સિનેમામાં આગની મોકડ્રિલ:આગ જેવી દુર્ઘટના સમયે બચાવ કામગીરીનું નિદર્શન
મોરબીના બાયપાસ રોડ પર આવેલા નેક્સસ સિનેમા ખાતે આગની ઘટનાને પહોંચી વળવા માટે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન કર્યું હતું. મોકડ્રિલની શરૂઆત સિનેમા સંચાલક દ્વારા ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરવાથી થઈ હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે સિનેમામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને બે કેઝ્યુઅલ્ટીને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઈટિંગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ આ એક મોકડ્રિલ હોવાનું જાહેર કરાતા હાજર રહેલા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો હતો. ખાસ કરીને ભીડવાળી જગ્યાએ આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે પોતાનો જીવ કેવી રીતે બચાવવો અને અન્યોને કેવી રીતે મદદરૂપ થવું તેની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહાપાલિકાના રેસ્ક્યુ કામગીરી માટેના આધુનિક સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેથી લોકો તેની કાર્યપદ્ધતિથી માહિતગાર થઈ શકે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ છ પીઆઈની આંતરિક બદલીના હુકમ કર્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટરોની કામગીરી સંદર્ભે શિરપાવ અથવા ચેતવણીના ભાગરૂપે આ બદલી થઈ હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. થોડા વખત અગાઉ બહિયલમાં થયેલું કોમી છમકલું સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યું હતું. સમગ્ર જિલ્લાના પોલીસ કાફલા સાથે એસ.પી.એ મેદાનમાં ઝુકાવવું પડ્યુ હતું. પરિસ્થિતિને પારખવામાં અને કાબૂમાં રાખવામાં સ્થાનિક પી.આઈ. વી.બી.દેસાઈ નિષ્ફળ રહ્યા હોવાનું લાગતાં તેમને કંટ્રોલ રૂમમાં બેસાડી દેવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સેકટર-7ના સેકન્ડ પીઆઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર હવાલો અપાયોગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ છ પી.આઈ.ની આંતરિક બદલીના હુકમ કર્યા છે. ગાંધીનગરના સેકટર-7ના સેકન્ડ પીઆઈ એમ.એન. દેસાઈને ફરી એક વાર સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર એમ.એન.દેસાઈ અગાઉ પેથાપુરમાં ફર્સ્ટ પીઆઈ હતા, પરંતુ પેથાપુરમાં દારૂ-જુગાર સહિતની અન્ય કાર્યવાહી અસરકારક ન રહેતાં તેમને સેકટર-7માં સેકન્ડ પીઆઈ બનાવી દેવાયા હતા. હવે તેમને ફરી દહેગામ પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર હવાલો અપાયો છે. પીઆઈ એચ જી દેસાઈને સેકટર-7 પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ બનાવી દેવાયાજ્યારે કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારની બદી એટલે કે ચોક્કસ એક સિન્ડિકેટ બેકાબૂ બની રહી છે. પોલીસની કામગીરી અંગે સ્થાનિકોની ફરિયાદો વચ્ચે કલોલના એક રીઢા ગુનેગારે કલોલ શહેર પોલીસ મથકની હદમાં મોટું જુગારધામ શરૂ કર્યું છે. આ જુગારધામની પોલ ખુલી જતાં કલોલ શહેર પીઆઈ એચ જી દેસાઈને સેકટર-7 પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ બનાવી દેવાયા છે. જ્યારે પી જે ચુડાસમાને માણસા પોલીસ મથકમાંથી ખસેડીને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. સર્વેલન્સમાં નિષ્ણાત મનાતા પીઆઈ આર.એસ. ડામોરને એલઆઈબીમાંથી માણસા મૂક્યાબીજી તરફ ટેકનિકલ બાબતો અને સર્વેલન્સમાં નિષ્ણાત મનાતા પીઆઈ આર એસ ડામોરને એલઆઈબીમાંથી ખસેડીને માણસા મૂકવામાં આવ્યા છે. જેમનો વનવાસ પૂર્ણ થયો છે.પરંતુ માણસામાં રેતી માફિયાઓની પ્રવૃત્તિ વકરી રહી છે અને રેતી ચોરોમાં ચાલતા ગણગણાટ મુજબ સમગ્ર જિલ્લામાં રેતી ચોરીની પ્રવૃત્તિઓનું સંચાલન માણસામાંથી થઈ રહ્યું છે. પીઆઈ જે.બી. ખાંભલાને સચિવાલય સંકુલમાંથી ખસેડીને એલઆઈબીમાં તૈનાત કરાયામાણસામાં રેતી ચોરીના દૂષણ મુદે જિલ્લા પંચાયતમાં પણ હોબાળો થયો હતો. જિલ્લામાં રેતી ચોરી ડામવા માટે સૌ પ્રથમ માણસામાં આ બદીને ડામવાની જરૂરિયાત પર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાર મૂકાયો હતો. આમ રાજકીય રીતે પણ આ મુદ્દો સંવેદનશીલ છે ત્યારે માણસામાં રેતીચોરોને ડામવાનું આરએસ ડામોર માટે પડકારજનક બની શકે છે. પીઆઈ જે બી ખાંભલાને સચિવાલય સંકુલમાંથી ખસેડીને એલઆઈબીમાં તૈનાત કરવામાં આવ્યા છે.
નખત્રાણા તાલુકાના નેત્રા ગામે વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાગૃત નાગરિકોએ એસ.ટી. બસ સમયસર ન આવવાને કારણે 'બસ રોકો આંદોલન' કર્યું હતું. ભુજ-નારાયણ સરોવર માર્ગે ચાલતી આ બસની અનિયમિતતા સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ 2017 અને 2019થી સતત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા વિદ્યાર્થીઓને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હતો. બસ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને દરરોજ 5 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું અથવા ખાનગી વાહનનો ખર્ચ ભોગવવો પડતો હતો, જેનાથી તેમના શિક્ષણ પર ગંભીર અસર થતી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વાલી મંડળો અને જાગૃત નાગરિકો દ્વારા એસ.ટી. વિભાગને અનેક વખત રજૂઆતો કરાઈ હતી. તેમ છતાં, બસ સેવા વારંવાર બંધ થતી રહી હતી. શાળા વેકેશન, શનિ-રવિ અને મેળા દરમિયાન પણ બસ સેવા બંધ કરી દેવાતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકી પડતી હતી.વાલીઓ અને વાલી મંડળ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો નેત્રાથી નખત્રાણા સુધી પગપાળા યાત્રા કાઢવામાં આવશે. આ આંદોલન દરમિયાન ભુજ એસ.ટી. વિભાગના અધિકારીઓ સાથે ફોન દ્વારા સંપર્ક કરાયો હતો. ચર્ચા બાદ એસ.ટી. વિભાગે ખાતરી આપી હતી કે, બસ સેવા સમયસર અને નિયમિત ચલાવવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરાશે. આ ખાતરી મળતા જ બસ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ આંદોલનમાં આસપાસના ગામોના વાલીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાયા હતા, જેમણે શિક્ષણના હક માટે એકતા દર્શાવી હતી.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાનારી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરને ધ્યાનમાં રાખીને સુરક્ષા રિહર્સલ કરાયું હતું. આ રિહર્સલ મુખ્યમંત્રી અને મંત્રીઓના સંભવિત દમણ એરપોર્ટ તરફના પ્રવાસ માટે કરવામાં આવ્યું હતું. શિબિર પૂર્ણ થયા બાદ જો મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓને અચાનક ગાંધીનગર કે અન્ય કોઈ જિલ્લામાં જવાનું થાય, તો તેઓ દમણ એરપોર્ટથી રવાના થઈ શકે છે. આ સંભાવનાને પગલે ધરમપુરથી દમણ એરપોર્ટ સુધીના સમગ્ર માર્ગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પારડી હાઇવે પર મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાના રિહર્સલ દરમિયાન પારડી પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં હતી. રાત્રિના સમયે પારડી વિસ્તારમાં વાસ્તવિક સમયનું રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ મુખ્ય પોઈન્ટ્સ પર પોલીસે તૈનાતી વધારી હતી. ધરમપુર-વલસાડ-પારડી માર્ગને સંપૂર્ણપણે ક્લિયર રાખીને કાફલાની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી હતી. પારડી પોલીસના પીઆઈ જી.આર. ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પાર નદીથી દમણ સુધીના મહત્વના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાનો હેતુ કાફલાને કોઈપણ પ્રકારની અવરોધ વિના સુરક્ષિત રીતે દમણ તરફ રવાના કરવાનો હતો, જે નિયોજન અનુસાર સફળતાપૂર્વક પાર પડ્યો હતો.
રાજકોટમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે જેમાં નિવૃત ફૌજીએ એક ભૂલના કારણે રૂપિયા 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. સાયબર ગઠિયાએ APK ફાઈલ ડાઉનલોડ કરતા સાથે બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્ર્રાન્સફર થઇ ગયા હતા જો કે પોલીસ તત્કાલ કાર્યવાહી કરી 5.82 લાખ રકમ ફ્રીઝ કરી એકાઉન્ટ હોલ્ડરને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે રાજકોટમાં રૈયાગામ વિસ્તારમાં શાંતિનગર મેઈન રોડ પર ડ્રિમ સીટી ફ્લેટમાં રહેતાં સુધીરભાઈ ગીરીશકુમાર મોનાણી (ઉ.વ.37)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના પિતા ગીરીશકુમાર રામજીભાઈ મોનાણી (ઉ.વ.68) આર્મીમા ફરજ બજાવી નિવૃત થયા બાદ પંજાબ નેશનલ બેંકમાં ઓફીસર તરીકે નોકરી કરતા અને 2018થી નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેમના બેંક કર્મચારીઓનુ એક વોટ્સએપ ગ્રુપ છે જે ગ્રુપમાં એક યુઝર દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં એક મોબાઇલ નંબર બતાવ્યો હતું તેની સાથે આ એક નંબર છે, જે પંજાબ નેશનલ બેંકના નામે લોકો સાથે ફ્રોડ કરે છે જેથી આ મોબાઇલ નંબરથી સાવધાન રહેવુ. જો કે નિવૃત ફૌજીને મેસેજ વાંચતી વખતે સમજવામાં ભુલ કરી અને ભુલથી ફ્રોડ મોબાઈલ નંબરને પંજાબ નેશનલ બેંકનો ઓફિસિયલ મોબાઇલ નંબર સમજી લીધો હતો. તેમનું પેન્સન પણ પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં જમા થાય છે. બેંક તથા કેન્દ્ર સરકારના પેન્સન ધારકોને દર વર્ષે નવેમ્બર માસમાં હયાતીનો દાખલો આપવાનો હોય છે જે ચાલુ વર્ષનો દાખલો પંજાબ બેંકની બ્રાન્ચ પર આપવાનો બાકી હતો. જેથી તેઓએ સેવ કરેલા નંબર પર કોલ કરી જેમાં વાતચીત બાદ સામાવાળાએ એક એપ્લીકેશનની લીંક મોકલી વોટ્સએપ પર એટીએમના ફોટોસ આપી લીંક વડે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જે ડાઉનલોડ કર્યા બાદ મોબાઇલ ફોન હેક થઇ ગયો હતો અને તેમના બેંક ખાતામાંથી રૂ.10 લાખના ટ્રાનઝેક્શન જાણ બહાર થઇ ગયા હતા જેથી પિતા-પુત્ર બેંક બ્રાન્ચ પર જઈ તપાસ કરતા રૂપિયા 10 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું. ઓનલાઈન અરજી કર્યા બાદ સાયબર ક્રાઇમ પીઆઈ પીયૂષ ડોબરીયા અને ટીમે તુરંત જ રૂ.5.82 લાખ ફ્રોડ એકાઉન્ટમાં ફ્રિઝ કરાવી એકાઉન્ટ હોલ્ડરને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરી છે. જયારે ફ્રીઝ થયેલ રૂ.5.82 લાખ અરજદારને પરત કરાવવા માટે કોર્ટ પ્રોસેસ પણ કરવામાં આવી છે.
હરતું-ફરતું દવાખાનું ચાલતુ હોય તેવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ હરતો-ફરતો પેટ્રોલ પંપ ચાલતો હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવી જ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. જ્યાં SOGએ હરતો-ફરતો પેટ્રોલ પંપ ઝડપી લીધો છે. આરોપીઓએ પેટ્રોલ પંપમાં આવતા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી લેતા હતા. જે બાદ મશીન ફીટ કરેલા મીની ટેમ્પોમાં પેટ્રોલ-ડીઝલ ભરી અલગ-અલગ સ્થળે ઓછા ભાવે વેચી નાખતા હતા. વાહન ચાલકોને ઓછા ભાવે વેચતાઆ અગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ તરફ પાંચ કિમી દૂર મંગળુ કાઠીની શિવ લહેરી હોટલ પર એનો દિકરો લાલો પેટ્રોલ પમ્પ પર આવતા ડીઝલ અને પેટ્રોલના ટાંકામાંથી 50-50 લીટર ડીઝલ કે પેટ્રોલ નળી વડે કાઢી કેરબા ભરી પોતાના વાહનમાં ભરી દેતો હતો. જે બાદ ફ્યુલ પંપ ફિટ કરેલા મિની ટેમ્પોમાં ભરી ડીઝલ અને પેટ્રોલ અન્ય વાહન ચાલકોને 15-20 રૂ. ના ઓછા ભાવે વેચતો હતો. ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થતુ હોવાની પોલીસને જાણ થઈSOG સ્ટાફ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે, રાત્રિના સમયે ચોટીલા હાઈવે પર આવેલી શિવલહેરી હોટલના ગ્રાઉન્ડમાં નવી બનતી હોટલ પાસે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થઈ રહ્યું છે. પંપમાં આવતા ટાંકામાં પેટ્રોલ-ડીઝલની ચોરી કરતાંઆ બાતમી મુજબ, ચોટીલાના ખેરડીના લાલા મંગળુ કાઠી દરબાર આ ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા અને તેની દેખરેખ માટે પપ્પુ નામના ચોકીદારને રાખ્યો હતો. તેઓ પંપમાં આવતા ટાંકામાંથી ઇલેક્ટ્રિક મોટર અને નળી વડે પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા હતા. ત્યારબાદ, આ પેટ્રોલ-ડીઝલ પોતાના કબજા ભોગવટાના વાહનમાં ફ્યુલ પંપ ફીટ કરીને વેચાણ કરતા હતા. રૂ. 4,66,450નો મુદ્દામાલ કબજેઆ હકીકતના આધારે, SOG ટીમે તપાસ કરતા, ફ્યુલ પંપ ફીટ કરેલી ટાટા 407 કિંમત રૂ. 3,00,000, જેમાં 100 લીટર ડીઝલ મળી આવ્યું હતું. આ ઉપરાંત, યુટિલિટી કિંમત રૂ. 1,50,000 અને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલું 60 લીટર ડીઝલ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 4,66,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસને જોઈ આરોપીઓ અંધારામાં નાસી છૂટ્યાંઆ મામલે આરોપી લાલો કાઠી અને ચોકીદાર પપ્પુ પોલીસને જોઈને અંધારામાં નાસી છૂટ્યા હતા. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભારતીય ચૂંટણી પંચે (ECI) મતદાતાઓને સરળતા પ્રદાન કરવા અને તાજેતરમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) માં ચોકસાઈ લાવવા માટે તેના મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in) પર એક મહત્ત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. ‘છેલ્લા SIR (Special Intensive Revision) ઇ-રોલમાં તમારું નામ સર્ચ’ (Search Your Name in Last SIR) હેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધા દ્વારા મતદારો હવે 2002ના છેલ્લા SIR ઇ-રોલમાં પોતાનું નામ અથવા તેમના સંબંધીઓનું નામ સરળતાથી ચકાસી શકશે. નવી સુવિધાની મુખ્ય વિશેષતાઓ અને લાભોમાહિતીની ચકાસણીમાં મદદરૂપ: આ સેવા નાગરિકોને તેમની જૂની મતદાર નોંધણીની વિગતો ચકાસવામાં મદદ કરશે, જે વર્તમાન ચાલુ મતદાર યાદીની પ્રક્રિયાઓમાં વધારે ચોકસાઈ લાવવામાં ઉપયોગી થશે.સરળ સર્ચ ઓપ્શન: મતદારો ફક્ત રાજ્ય, પોતાનું નામ, સંબંધીનું નામ અને તેમની સાથેનો સંબંધ (પિતા, માતા, પતિ/પત્ની) જેવી ઓછામાં ઓછી વિગતો દ્વારા સર્ચ કરી શકે છે. અન્ય વિગતો જેમ કે જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર (AC) અને પોલિંગ સ્ટેશન વૈકલ્પિક છે.દેશભરમાંથી સર્ચ કરી શકાશે: આ નવી સુવિધા હેઠળ મતદારો હવે ફક્ત પોતાના રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ગમે ત્યાંથી તેમના નામને સર્ચ કરી શકે છે. આ રીતે ચેક કરો મતદારનું નામ મતદાતાઓને સચોટ નામથી પરિણામ ન મળે તો નામની જોડણીના વિવિધ રૂપાંતરણો (different variations of names)નો ઉપયોગ કરીને પ્રયાસ કરવો (ઉદાહરણ તરીકે, 'Maneesh' માટે 'Manish') જોઈએ અથવા જિલ્લા, AC અને ભાગ જેવી વધારાની માહિતી ભરીને ફરીથી પ્રયત્ન કરવો. ચૂંટણી પંચે તમામ નાગરિકોને તેમની માહિતીની ચકાસણી કરવા માટે આ સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. અમદાવાદ શહેર-જિલ્લામાં 29 અને 30 નવેમ્બરના ખાસ કેમ્પ યોજાશેઅમદાવાદ જિલ્લામાં ખાસ સઘન મતદારયાદી સુધારણા (SIR) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 62.59 લાખ મતદારોમાંથી 70 ટકાથી વધુની વિગતોનું ડિજિટાઇઝેશન થઈ ચૂક્યું છે. જ્યારે જે મતદારો હજી સુધી કોઈ કારણસર જમા કરાવી શક્યા નથી, તેમના માટે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આગામી તા. 29 અને 30 નવેમ્બર એમ બે દિવસ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર-જિલ્લાના તમામ મતદારોને તેમના બાકી રહેલા ફોર્મ્સ તાત્કાલિક ભરીને BLOને પરત જમા કરાવવા અને આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી છે. જેથી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશની આ કામગીરી સ્વચ્છ, ક્ષતિરહિત અને પારદર્શક બની રહે અને મતદારો પોતાના ફોર્મ એક જ સ્થળે જમા કરાવી શકે તે માટે જિલ્લાના તમામ મતવિસ્તારોમાં નિયત સ્થળોએ શનિવાર તા. 29 નવેમ્બરના રોજ બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી અને રવિવાર તા. 30 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મતદારો પોતાના એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની સાથે ભારતીય ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવાઓ પણ સ્વેચ્છાએ રજૂ કરી શકશે. જે મતદારયાદીની ચોકસાઈ વધારવામાં મદદરૂપ થશે.
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરની સૂચના અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમોએ રેસ્ટોરન્ટ, લારી-ગાડા, રિટેલર તથા હોલસેલર યુનિટ્સમાં ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના ઉમા ચાર રસ્તા, તરસાલી, ગોત્રી, ખંડેરાવ માર્કેટ, છાણી, હરણી રોડ, પાણીગેટ સહિતના વિસ્તારોમાં કુલ 8 રિટેલર યુનિટ, 1 હુક્કા વેન્ડિંગ યુનિટ અને 1 હોલસેલર યુનિટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આયોડાઇઝ્ડ મીઠું, એડિબલ મિનરલ સોલ્ટ સહિત કુલ 12 મીઠાના નમૂના લેબોરેટરી ટેસ્ટીંગ માટે લેવામાં આવ્યા હતા. બીજી તરફ આજવા રોડ-મહાવીર હોલ ચાર રસ્તા, ડેરીડેન સર્કલ, વાઘોડિયા રોડ-ડીમાર્ટ વિસ્તારમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અહીં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાનની મદદથી 39 લારીઓ, 8 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને 3 રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન 39 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે 4 લારીઓમાં વપરાતા તેલની TPC વેલ્યુ ખૂબ જ ઊંચી જણાતાં સ્થળ પરથી જ 5 કિલો તેલ નાશ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત લોકોના આરોગ્ય સાથે રમત રમનારી લારીઓમાંથી 70 લિટર પાણીપુરીનું પાણી, 7 કિલો લીલી ચટણી, 40 કિલો અખાદ્ય બટાકા, કલરવાળું મંચુરિયન, સોસ વગેરે જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. લાઇસન્સ કે રજીસ્ટ્રેશન વિના ધંધો ચલાવતી 2 લારીઓ અને લાઇસન્સ/રજિસ્ટ્રેશન ડિસ્પ્લે ન કરનારી 3 લારીઓને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી.
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોત્રી પોલીસે ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી પોલીસે 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ 11.95 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 35,850 રૂપિયા છે. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સિગારેટના બોક્સમાં છુપાવીને રાખ્યું હતુંગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. પટેલના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસની ટીમે સતત પેટ્રોલિંગ અને નાર્કોટિક્સ સંદર્ભે મળેલી ગુપ્ત બાતમીના આધારે મકરંદ દેસાઈ રોડ ઘડિયાળ સર્કલથી નિલાંબર ચાર રસ્તા તરફ આવતા શંકાસ્પદ વ્યક્તિ પર વોચ રાખી હતી અને બાતમી મુજબ કાળા રંગની ટી-શર્ટ અને ગ્રે રંગની નાઈટ પહેરેલા વ્યક્તિ પાસે ક્લાસિક સિગરેટના બોક્સમાં પ્લાસ્ટિકની ઝીપ-લોક થેલીઓમાં સફેદ પાવડર જેવો પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું. ગોત્રી પોલીસની ટીમે આરોપી પિયુષ દીપકભાઈ સોલંકી (ઉ.વ. 20, રહે. બ્લોક નં. 20, મકાન નં. 12, રામપુરા વુડા હાઉસિંગ, અકોટા, વડોદરા)ની ધરપકડ કરી હતી અને આરોપીની પાસેથી 11.95 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985ની કલમ 21(બી), 22(બી) હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અયોધ્યા રામ મંદિર પર ધર્મધ્વજા લહેરાઈ:મોરબીમાં હિન્દુ સંગઠનોએ આતિશબાજી કરી ઉજવણી કરી
મોરબીના નગરદરવાજા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગદળ, માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી. આ ઉજવણી અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવતા કરવામાં આવી હતી. આ સંગઠનો દ્વારા 26 નવેમ્બર, બુધવારના રોજ નગરદરવાજા ચોકમાં એક કલાક સુધી ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મોરબીના હિન્દુ ધર્મપ્રેમી નાગરિકો સહિત અનેક લોકો જોડાયા હતા. અયોધ્યા ખાતે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિખર પર 25 નવેમ્બરના રોજ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે આ ધર્મ ધ્વજા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફનું પ્રથમ પગલું છે. લગભગ 500 વર્ષના લાંબા ઇતિહાસ બાદ ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે અને મંદિર પર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે આજે વધુ એક વખત બેદરકારીનો આક્ષેપ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામનાં 25 વર્ષીય પરિણીતા કમળાબેન વિપુલભાઈ સાળેસાને ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિણિતાને શ્વાસની તકલીફ થતી હતી. ડોકટરોએ સારવાર શરૂ કરી ઓક્સિજન નળી નાખી ઓક્સિજન આપ્યો હતો. જોકે, આજે ડોકટરોએ કહ્યું કે, મોઢામાં નળી નાખવી પડશે. મોઢામાં નળી નાખતા હતા ત્યાં અધૂરૂ કાર્ય મૂકી ડોક્ટર જતા રહેતા દર્દી તરફડીયા મારવા લાગ્યા હતા. સિવિલ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ આપવામાં આવી નથીબે વખતે ડોક્ટરને બોલવા ગયા પણ ડોક્ટર આવ્યા નહીં. દર્દીની હાલત ગંભીર છે તેમ જણાવ્યું તો પણ ડોક્ટર આવ્યા નહીં. અંતે ડોક્ટરને બાવડું પકડી દર્દી પાસે લઈ જવાયા ત્યારે મૃત હોવાનું કહ્યું હતું. પરિવારે આવો આક્ષેપ કર્યો છે અને બેદરકાર સામે પગલા લેવાય એવી ન્યાયની માંગ કરી છે. પરિવારે જણાવ્યું કે, કમળાબેનને 2 સંતાન છે. સંતાનો માવિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો. જોકે, આ મામલે સિવિલ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ આપવામાં આવી નથી. સિવિલ હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ કામ કરતા નિવૃત્ત કર્મચારીઓને દૂર કરવા આદેશરાજકોટ સિવિલ હોસ્પિટલમાં નિયમોનું ઉલ્લંઘન કરીને નિવૃત્તિ પછી પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા નોકરી કરતા કર્મચારીઓને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ, આશરે 30 જેટલા નિવૃત્ત કર્મચારીઓ વહીવટી, ફાર્મા, નર્સિંગ, પ્યુન, ટેક્નિશિયન અને વર્ગ-4 સહિતની લગભગ 12 પોસ્ટ્સ પર કામ કરી રહ્યા હતા. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ નિવૃત્ત કર્મચારીઓને સરકારી કચેરીમાં નોકરી પર રાખવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલમાં સરકારની મંજૂરી વિના જ આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કર્મચારીઓ તેમના લાંબા અનુભવ અને વહીવટી કાર્યોમાં નિપુણતાને કારણે ભલામણ કે લાગવગથી રખાયા હતા. સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું હતું કે, સરકારના પરિપત્રનું પાલન કરીને, નિયમ વિરુદ્ધ કામ કરી રહેલા તમામ નિવૃત્ત કર્મચારીઓને છૂટા કરવા માટે કોન્ટ્રાક્ટ એજન્સીને સૂચના આપી દેવામાં આવી છે. એજન્સી વેરિફિકેશન કરી આ કર્મચારીઓની યાદી તૈયાર કરશે અને તેમને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરશે. મનપા દ્વારા વેરાનો ટાર્ગેટ પૂરો કરવા 11,171 મિલકત ધારકોને નોટિસરાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2024-25ના મિલકત વેરાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લક્ષ્યાંક પૂરો કરવા ગણતરીના મહિનાઓ બાકી હોવાથી, શાખાએ રૂ. 50,000થી વધુ રકમનો મિલકત વેરો બાકી હોય તેવા 11,171 મિલકત ધારકોને રૂબરૂ નોટિસની બજવણી કરી છે. આ ઉપરાંત, વેરો ભરપાઈ નહીં કરનારા 665 મિલકત ધારકોને મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા બાકીદારોમાં વેરો ભરવા માટે દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 207 મિલકતો સીલ કરવામાં આવી હતી, જેમાંથી વેરો ભરપાઈ થતાં 40 મિલકતો ખોલી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, વેરા વસૂલાત શાખાએ નાણાકીય વર્ષના પ્રારંભમાં વેરા વળતર યોજના શરૂ કરી હતી, જેનો લાભ 2 લાખ જેટલા પ્રમાણિક કરદાતાઓએ લીધો હતો. રાજકોટમાં કુલ 5,30,000 મિલકત ધારકો નોંધાયેલા છે. નાણાકીય વર્ષનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે હજી રૂ.154 કરોડની વસૂલાત બાકી છે, જ્યારે અત્યાર સુધીમાં માત્ર રૂ. 3 કરોડની વસૂલાત થઈ છે. લક્ષ્યાંક પૂરો કરવા માટે RMCએ બાકીદારોને નોટિસ આપવા અને જપ્તીની કાર્યવાહી ઝડપી બનાવી છે. રાજકોટ-જામનગર હાઇવે પરના સાંઢીયા બ્રિજનું કામ લંબાયુંરાજકોટ-જામનગર હાઇવે પર સાંઢીયા પુલની જગ્યાએ બની રહેલા રૂ. 74.32 કરોડના ખર્ચે ફોરટ્રેક બ્રિજનું કામ રેલવેની મંજૂરીના અભાવે અટક્યું છે. હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરમાંથી પસાર થવાને કારણે ભારે અંધાધૂંધી સર્જાઇ રહી છે. મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર થયેલા પાંચ દાયકા જૂના ટુ-લેન પુલને તોડીને નવો પુલ બનાવવાનું કામ ચેતન કન્સ્ટ્રકશન કંપનીને 14-3-2024 ના રોજ સોંપાયું હતું અને તેની સમયમર્યાદા માર્ચ 2026 છે. જોકે, નવા પુલના સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેક ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા માટે મનપા દ્વારા અંદાજે 90 દિવસ પૂર્વે રેલવે વિભાગ પાસે મંજૂરી માંગી હતી, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી. રેલવે દ્વારા બ્લોક લીધા વગર તોતિંગ ગર્ડરના લોન્ચિંગ કામગીરી શક્ય નથી. આ વિલંબના કારણે મહાપાલિકાની ચૂંટણી પૂર્વે પુલનું લોકાર્પણ થાય તેવી શક્યતા નહિવત છે, અને હવે આ બ્રિજ મે-2026 આસપાસ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. મનપાની 8 દુકાનોની હરાજીને જબરો પ્રતિસાદરાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે મનસુખભાઈ છાપીયા ટાઉનશીપના શોપિંગ સેન્ટરની કુલ 8 દુકાનોની જાહેર હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ પુનિતનગર પાણીના ટાંકા સામેના રોડ પર આવેલ શ્યામલ વાટિકા પાસે યોજાઈ હતી. આ જાહેર હરરાજીમાં 8 દુકાનો માટે RMC દ્વારા અપસેટ કિંમત રૂ. 236.10 લાખ રાખવામાં આવી હતી. નાગરિકો તરફથી મળેલા જોરદાર પ્રતિસાદના કારણે હરરાજીની અંતિમ કિંમત રૂ. 342.10 લાખ પર પહોંચી હતી. આ કિંમત મૂળ અપસેટ કિંમત કરતાં રૂ. 106.00 લાખ વધુ છે, જે RMC માટે નોંધપાત્ર આવક દર્શાવે છે. આ જાહેર હરરાજી પ્રક્રિયામાં 51 નાગરિકોએ ભાગ લીધો હતો, જે આ પ્રોજેક્ટમાં શહેરીજનોના ઊંડા રસને સૂચવે છે. રાજકોટનાં ન્યુ જાગનાથમાં DI પાઇપલાઇનનું ખોદકામ ફરી શરૂરાજકોટમાં ચાલુ વર્ષે ડીઆઇ પાઇપલાઇન નાખવા માટે થઈ રહેલા ખોદકામને કારણે નાગરિકો ભયંકર ત્રાસ અનુભવી રહ્યા છે. ચોમાસા બાદ માંડ ડામર રોડના કામ શરૂ થયા હતા, ત્યાં ફરી એકવાર ડીઆઇ લાઇન માટે શહેરના રાજમાર્ગો, અન્ય રસ્તાઓ અને શેરીઓમાં ખોદકામ શરૂ કરી દેવાતા લોકોને ફરી જૂના અનુભવો થવા લાગ્યા છે. જે વિસ્તારોમાં ખોદકામ કરવાનું છે, તેમાં વોર્ડ નંબર 7 ના ન્યુ જાગનાથ મેઇન રોડ પર નવા ખોદકામથી દુકાનો અને રહેણાંકોની આગળ ફરી ખાડા થઈ ગયા છે. આ ખાડાઓમાં રાબેતા મુજબ માટી ભરી માત્ર થીગડા મારી દેવાયા છે. રસ્તાઓ ઉપર પાઇપના ઢગલા પડ્યા છે અને ખોદકામના કારણે વાહનચાલકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વિસ્તારોમાં નવા રોડની બાજુમાં ખોદકામ થતું હોવાથી લોકોની એક જ માંગ છે કે, પાઇપ પથરાયા બાદ તુરંત જ ડામરનું કામ કરવામાં આવે, તો જ તેમની હાલાકી દૂર થશે. જો ખોદકામ બાદ રોડ રિપેરિંગમાં વિલંબ થશે તો મુશ્કેલીઓ યથાવત્ રહેશે. 30 નવેમ્બર ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદટેકનિકલ કારણોસર, 30 નવેમ્બર, 2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર 2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર 3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર 4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર 5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર 6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર 7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી 8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી 9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી 10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી 11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી 12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી
બોપલ–આંબલી અને આંબાવાડી વિસ્તારમાં ચાલતા બે સ્પા સેન્ટરોમાં પોલીસે રેડ કરી કૂટણખાનાનો ભંડાફોડ કર્યો છે. શહેરના પોશ વિસ્તારોમાં આવેલા કેટલાક સ્પા સેન્ટરોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઇ રહી હોવાની જાણકારી મળતા સરખેજ અને એલિસબ્રિજ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સરખેજ પોલીસે બોપલ આંબલી રોડ પર આવેલા વનવર્લ્ડ વેસ્ટ કોમ્પ્લેક્સના ધ ઝીરો સ્પામાં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેવા પુરાવા મળતા સ્પાના મેનેજર સાઉદમીયા શેખને ઝડપાયો છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેનેજર છેલ્લા ત્રણ મહિનાથી અહીં કામ કરતો હતો. જ્યારે સ્પાના માલિક તરીકે એક મહિલાનું નામ સામે આવતા તેની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, એલિસબ્રિજ પોલીસે આંબાવાડીના શ્રી કૃષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલા લેમન આયુર્વેદિક સ્પામાં રેડ કરી હતી. અહીં પોલીસે એક ગ્રાહકને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સ્પાના સંચાલક તથા માલિક મહિલાની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. બંને સ્થળેથી પોલીસે મહત્વના પુરાવા કબજે કર્યા છે અને સ્પા સેન્ટરના ઓથાના નામે કેટલા સમયથી આવી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેની વિગતવાર તપાસ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે, શહેરમાં આવા ગેરકાયદેસર વ્યવસાયો પર હવે વધુ સખત પગલાં લેવામાં આવશે.
222 અંગદાતાઓના દાનથી 713 દર્દીઓને મળ્યું નવજીવન:સિવિલ હોસ્પિટલમાં 922 અંગો અને પેશીઓનું દાન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા ગુપ્તદાન સાથે કુલ 222 અંગદાતાઓ દ્વારા 735 અંગો અને 187 પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જેના લાભથી અત્યાર સુધી 713 દર્દીઓને નવું જીવન પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલા 222મા ગુપ્ત અંગદાનમાં મધ્યપ્રદેશના 44 વર્ષીય પુરુષ દર્દીનું બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોને સમજાવી અંગદાન માટે સંમતિ લેવામાં આવી હતી. આ દાનમાં એક લીવર અને બે કિડની મળ્યા છે, જેનું ટ્રાન્સપ્લાન્ટ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કરવામાં આવશે. બીજા એક કિસ્સામાં, અમરાઈવાડીની 23 વર્ષની શ્વેતાબેન પ્રજાપતિના અવસાન બાદ તેમના પરિવારજનોએ ચક્ષુદાનનો નિર્ણય લીધો હતો. મળેલી બંને આંખો એમ.એન.જે. આઈ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી છે. પરિવારજનોએ જણાવ્યું કે દીકરીની દ્રષ્ટિ હવે અન્ય કોઈની આંખોમાં જીવંત રહેશે એ તેમને શાંતિ આપે છે. એક અંગદાન પાછળ 48થી 72 કલાકની મેરેથોન જેવી પ્રક્રિયા પૂર્ણ કરવી પડેઆ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, એક અંગદાન પાછળ 48થી 72 કલાકની મેરેથોન જેવી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. તેમાં બ્રેઇનડેડ પ્રમાણિત કરવું, પરિવારજનોને કાઉન્સેલીંગ, SOTTO સાથે સંકલન, ઓપરેશનની તૈયારી, ગ્રીન કોરિડોર માગણી, તેમજ પોસ્ટમોર્ટમ સંબંધિત કામગીરી—આ બધું જ અત્યંત સુવ્યવસ્થિત ટીમવર્ક દ્વારા શક્ય બને છે. 247 સમર્પણ, શિસ્ત અને SOP મુજબની કામગીરીથી જ આ મહાયજ્ઞ સતત સફળ બને છે. દાતાઓના દાનથી અત્યાર સુધી 713 દર્દીઓ નવું જીવન જીવી રહ્યા છેઆંકડાઓમાં અંગદાનની સિદ્ધિ વિશે વાત કરીએ તો, કુલ અંગદાતા 222, કુલ અંગોનું દાન 735 જેમાં લીવર 196, કીડની 408, હૃદય: 71, સ્વાદુપિંડ 18, ફેફસાં 34, હાથ 6, નાનાં આંતરડાં 2 જ્યારે કુલ પેશીઓનું દાન 187માંથી ચક્ષુ 160 અને ચામડી 27 આમ અંગો અને પેશીઓનું કુલ દાન 922 થયું .આ તમામ દાતાઓના દાનથી અત્યાર સુધી 713 દર્દીઓ નવું જીવન જીવી રહ્યા છે.
હિંમતનગરથી શામળાજી વચ્ચે નિર્માણ પામી રહેલા સિક્સ-લેન નેશનલ હાઇવેના નિરીક્ષણ પછી આજે ગાંધીનગર ખાતે ‘ધ લીલા’ હોટલમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકની આગેવાની કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર-શામળાજી સિક્સલેન હાઈવેના કામગીરી ઝડપી કરવા નિર્ણયઆ બેઠક દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે માર્ગ નિર્માણ અને સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે વ્યાપક ચર્ચા થઈ. હિંમતનગર–શામળાજી સિક્સ-લેન હાઇવેના કાર્યમાં તેજી લાવવા તેમજ સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉભી કરવા બાબતે માર્ગદર્શક નિર્ણયો લેવાયા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી મેળવી અને સમયમર્યાદા પ્રમાણે કામ પૂર્ણ થાય તેની આવશ્યકતા પર ભાર મૂક્યો.ગુજરાતમાં માર્ગ સુવિધાઓ સુધરવાથી ઉદ્યોગ, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને વિશાળ પ્રોત્સાહન મળશે તેમજ રાજ્યની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે એવું પણ બેઠકમાં જણાવાયું. આવતીકાલે નીતિન ગડકરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે કામગીરની સમીક્ષા કરશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી 27 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય સઘન પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સ, ખાસ કરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિનું જમીની અને હવાઈ નિરીક્ષણ કરશે. આ પ્રવાસ દરમિયાન મંત્રી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે, જેમાં NH-53 અને NH-48ના 100 કિમીનું રોડ નિરીક્ષણ તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિ.મી.નો હેલિકોપ્ટરથી એરિયલ સર્વે સામેલ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવાડા ગામમાં એક એપાર્ટમેન્ટમાંથી નીકળતા ગંદા પાણી મુદ્દે વિવાદ થયો હતો. જેમાં બોલાચાલી બાદ વોચમેન અને સ્થાનિક રહેવાસી વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના આઈકોન એવેન્યુ બિલ્ડિંગ ખાતે બની હતી. હાલ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બિલ્ડિંગમાંથી ગંદુ પાણી રોડ પર આવતા સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે વોચમેનને ફરિયાદ કરી હતી. આના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ધીમે ધીમે મારામારીમાં પરિણમી હતી, જેમાં સ્થાનિકો અને વોચમેન વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં બંને પક્ષો વચ્ચેની મારામારી સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘટના બાદ આ મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બંને પક્ષના નિવેદનોના આધારે વધુ તપાસ ચલાવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં 37 જેટલા ટેસ્ટ માટે મશીનો વગેરે મૂકવા રૂ. 68 લાખનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત હોસ્પિટલ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, શારદાબહેન હોસ્પિટલમાં દર્દીના અલગ અલગ ટેસ્ટ મફત કરવામાં આવે છે. મહિને એક લાખથી વધુ દર્દીઓ આવે છે. જે મુજબ વર્ષે આવતાં 12.50 લાખ દર્દીઓના લેબ ટેસ્ટ માટે મશીનરી, મટીરિયલ, એસી અને વિવિધ સર્વિસ માટે ખાનગી કંપની દ્વારા 68 લાખની દરખાસ્ત કરાઇ હતી. આજે મળેલી કમિટીમાં આ દરખાસ્તને મંજૂર કરી દીધી છે. શારદાબહેન હોસ્પિટલમાં 47 જગ્યાઓ ભરવા માટે દરખાસ્ત મોકલાઇ હતી. પરંતુ આગામી જુલાઇ મહિના સુધી વર્તમાન કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. આ સિવાય હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઘટાડી દેવાઇ છે. જર્જરીત હોવાથી રિનોવેશન બાદ બેડની સંખ્યા વધારાશે, ત્યારે પેશન્ટ કેરનો સ્ટાફ લેવાશે.
ATS દ્વારા ઉત્તર પ્રદેશના રહેવાસી પવન કુમાર લોધીને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને બનાવટી ગન લાઇસન્સ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી ઉત્તર પ્રદેશના એટા જિલ્લાની DM કચેરીના ખોટા સહી સિક્કા અને લેટરનો ઉપયોગ કરતો હતો. બનાવટી ગન લાઇસન્સથી 12 રિવોલ્વર ખરીદી હતીઆ કેસમાં કુલ 18 આરોપીઓની અટક કરવામાં આવી છે. 12 જેટલા બનાવટી ગન લાઇસન્સ બનાવીને 12 જેટલી રિવોલ્વર ખરીદવામાં આવી છે અને 477 જેટલા કાટ્રીજ ખરીદવામાં આવ્યા છે. આ કેસમાં 14 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ થઇ ચૂકી છે. એટાની DM કચેરીમાં લાઇસન્સ વિભાગના કર્મચારીઓ બનાવટી ગન લાઇસન્સ કેસમાં સંડોવાયેલા હોવાના પકડાયેલા આરોપીઓના નિવેદનને આધારે એટા DM કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા પવનને ઝડપી લેવામાં આવ્યો હતો. વળી તેને ઓનલાઇન સરકારી પોર્ટલમાં લાઇસન્સ બીજાના નામે ચડાવ્યા હતા. આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના બાકીસરકારી વકીલ એમ.પી.ભરવાડે આરોપીના રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. વર્તમાન આરોપી બનાવટી લાઇસન્સ બનાવવા કેટલા રૂપિયા લીધા છે, તેના બેંકની ડિટેલ્સ મેળવવાની છે. આ કેસમાં અન્ય કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા છે કે કેમ? આરોપીએ આવા અન્ય કેટલા બનાવટી લાઇસન્સ બનાવ્યા છે, તેની પર તપાસ કરવાની છે. ઉલ્લેખનીય છે કે બનાવટી ગન લાઇસન્સ કેસમાં ઝડપાયેલા વકીલ દેવકાંત પાંડેને રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે.
Editor's View: ચીનનો ફરી અરૂણાચલ રાગ:હિન્દી-ચીની ભાઈ-ભાઈ નહિ બની શકે, ચીનને ફરી ભારતથી વાંકું પડ્યું
ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશ ગયા હતા ત્યારે ચીનને વાંધો પડ્યો હતો. ચીને કહેલું કે, ભારતની લીડરશિપે આ વિવાદિત વિસ્તારમાં આવવું ન જોઈએ. ભારતે ત્યારે પણ એ જ જવાબ આપેલો જે આજે આપે છે- અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશ જતા રહે છે. આ ભારતનાં અન્ય રાજ્યની જેમ જ છે. ચીને અમારી બાબતમાં દખલ આપવાની જરૂર નથી. ચીને ફરીથી અરૂણાચલ પ્રદેશ માટે એવું કહ્યું છે કે તે ભારતે ગેરકાયદે કબજો કરેલો ચીનનો ભાગ છે. નમસ્કાર, માંડ માંડ બંને દેશ વચ્ચે સંબંધોની ગાડી પાટે ચડી હતી ત્યાં મોટું ફાચર પડ્યું. ચીન-ભારત વચ્ચે અરૂણાચલનો વિવાદ મૂળ અરૂણાચલની અને 14 વર્ષથી બ્રિટન સ્થાયી થયેલી એક યુવતીના કારણે સળગ્યો છે. ઓગસ્ટમાં ચીનમાં મોદી અને જિનપિંગ મળ્યા પછી એવું લાગતું હતું કે બધું બરાબર થઈ ગયું છે. પણ ચીનની પૂંછડી વાંકી ને વાંકી જ છે એટલે મોદી-જિનપિંગની મુલાકાત પછી બધું બરાબર થયું નથી. ભારતની યુવતીનો કિસ્સો શું છે? પેમ વાંગજોમ થાંગડોક નામની યુવતી અરૂણાચલ પ્રદેશમાં જન્મી અને બ્રિટનમાં ફાયનાન્શિયલ એડવાઈઝર છે. પેમ 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી. ચીનના શાંઘાઈ એરપોર્ટ પર તેનો ત્રણ કલાકનો લે-ઓવર ટાઈમ હતો. શાંઘાઈ એરપોર્ટ પર ઈમિગ્રેશનમાં પાસપોર્ટ બતાવ્યો તો ત્યાંના ઓફિસરોએ પાસપોર્ટને ખોટો ગણાવ્યો. કારણ કે તેના જન્મ સ્થાનમાં અરૂણાચલ પ્રદેશ લખ્યું હતું. ચીની એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે, પાસપોર્ટમાં અરૂણાચલ પ્રદેશ ભારતમાં બતાવ્યું છે. એ ખોટું છે. અરૂણાચલ પ્રદેશ તો ચીનનો ભાગ છે. ટ્રાન્ઝીટથી શરૂ થચેલી આ સફર હેરેસેમેન્ટમાં બદલાઈ ગઈ. પેમએ સોશિયલ મીડિયામાં દાવો કર્યો છે કે ચીની અધિકારીઓએ તેની 18 કલાક સુધી પૂછપરછ કરી, ન તો ખાવાનું આપ્યું કે ન તો એરપોર્ટ પર મળતી સુવિધા. ચાઈનીઝ ઈસ્ટર્ન એરલાઈન્સના કર્મચારીઓ એ યુવતીની ઠેકડી ઉડાડતા રહ્યા. આખરે એ યુવતીએ શાંઘાઈમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો. એક કલાકમાં છ ભારતીય અધિકારી પહોંચ્યા. તેમણે મદદ કરી. પેમએ ચીની અધિકારીઓને વિનંતી કરી કે તે જાપાનની ફ્લાઈટ ચૂકી ગઈ છે તો તેને જાપાન જવાની વ્યવસ્થા કરી દેવામાં આવે. પણ ચીની અધિકારીઓ એકના બે ન થયા. અંતે તેણે ચીનથી ભારતની ફ્લાઈટ બુક કરી. જેનો લે-ઓવર ટાઈમ થાઈલેન્ડમાં હતો. ભારતે ચીનને ખખડાવ્યું આ ભારતીય ગરીમાનું અપમાન છે. ચીને ખુલાસો આપવો પડશે. ચીનનો જવાબ અમે પેમ વાંગજોમની અટકાયત કરીને પૂછપરછ કરી નથી. આવું કાંઈ બન્યું જ નથી. યુવતી ખોટું બોલે છે. યુવતીની ઘટના પછી ભારતે ચીનને ખખડાવ્યું... પેમ વાંગજોમ થાંગડોકે ભારતના વિદેશ મંત્રાલયને ઈમેલ લખ્યો છે કે તેના પાસપોર્ટને ખોટો ગણાવવો એ ભારતની સંપ્રભુતાનું અપમાન છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ દિલ્હી ખાતેના ચીની દૂતાવાસને સમન્સ મોકલ્યું છે ને જોરદાર વિરોધ બતાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ભારતીય ગરીમાનું અપમાન છે. ચીને ખુલાસો આપવો પડશે. ચીને પણ જવાબ આપ્યો. ચીને કહ્યું કે અમે પેમ વાંગજોમ થાંગડોકની અટકાયત કરીને પૂછપરછ કરી નથી. આવું કાંઈ બન્યું જ નથી. યુવતી ખોટું બોલે છે. વિવાદ વધ્યો તો ચીને ફરી અરૂણાચલ પર દાવો ઠોકી દીધો આ વિવાદ વિધ્યો તો ચીનની વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ લિંગ બોલી કે, ભારતે ગેરકાયદે કબજો કરેલા અરૂણાચલ પ્રદેશને ચીને માન્યતા નથી આપી. 'ઝાંગનાન' એ ચીનનો ભાગ છે. ચીની લોકો અરૂણાચલ પ્રદેશને 'ઝાંગનાન' કહે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, જે યુવતીએ ચીન પર આરોપ લગાવ્યા છે તે તદ્દન ખોટા છે. એરપોર્ટ પર તેનું ચેકિંગ સભ્ય રીતે, નિયમ મુજબ જ કરવામાં આવ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે. ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ પછી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે. કૈલાસ-માનસરોવર યાત્રા પણ શરૂ થઈ. ભારતે ચીની નાગરિકો પરથી વીઝા પાબંદી હટાવી હતી. ઓગસ્ટમાં SCO સમિટમાં મોદી-શી જિનપિંગની મુલાકાત થઈ હતી ત્યારે એવી વાત થઈ હતી કે સરહદના કારણે બંને દેશોના સંબંધો બગડવા ન જોઈએ. પણ હવે આ સંબંધો સુધરવા તો એકબાજુ, વધારે વણસશે તેવું લાગે છે. ચીનની પામ-ફીંગર થિયરી અરૂણાચલ પર ચીન વર્ષોથી દાવો કરતું આવ્યું છે. આ આજકાલનું નથી. ખાસ કરીને તિબેટ પર કબજો કરી લીધા પછી ચીન અરૂણાચલ પર જોરશોરથી દાવો કરતું આવ્યું છે. ચીને જે-તે સમયે પામ-ફિંગર થિયરી આપી હતી. જેમાં પામ એટલે હથેળી એટલે ચીન પોતે. અને જે પાંચ આંગળી છે તેમાં નેપાળ, ભૂતાન, સિક્કીમ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખ આ પાંચ તેમાં આવી જાય છે. આ પાંચ આંગળી (પાંચ પ્રદેશ) વગર હથેળી (ચીન) અધૂરી છે. 1962માં ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે ચીની સૈનિકો મોટાપાયે અરૂણાચલમાં અંદર સુધી ઘૂસી ગયા હતા. જોકે લડાઈ પૂરી થઈ પછી ચીને તેના સૈનિકોને પાછા પણ બોલાવી લીધા હતા. ચીનનું કહેવું છે કે અરૂણાચલ પ્રદેશ એ હકીકતે દક્ષિણ તિબેટ છે. મેકમોહન લાઈન ખોટી રીતે બતાવાઈ છે. અમે મેકમોહન લાઈનને માનતા નથી. મેકમોહન લાઈન બ્રિટીશરો અને ચીન વચ્ચે ખેંચાયેલી રેખા હતી. અરૂણાચલ પ્રદેશમાં તવાંગ ડિસ્ટ્રીક્ટ છે. તેના પર ચીનનો ડોળો છે. તવાંગનું નામ આવે ને ચીન ઈમોશનલ થઈ જાય છે. કારણ કે તવાંગ એ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર છે. એટલે તવાંગ પચાવીને તિબેટનો કંટ્રોલ પોતાના હાથમાં લેવા માગે છે. ઊગતા સૂરજનો પ્રદેશ અરુણાચલ 84 હજાર ચોરસ કિમી વિસ્તાર પહાડો અને જંગલોથી ઘેરાયેલું કુલ વસ્તી 15 લાખ 26 આદિવાસી સમૂદાયનું નિવાસ અરુણાચલ પ્રદેશ પર ચીન કેમ દાવો કરે છે? 1950ના દાયકાના અંતમાં તિબેટને પોતાનામાં ભેળવી લીધા બાદ ચીને અક્સાઈ ચીનના લગભગ 38 હજાર વર્ગ કિલોમીટરના વિસ્તારોને પોતાના અધિકારમાં કરી લીધો હતો. ચીન તિબેટની સાથે અરુણાચલ પ્રદેશ પર પણ દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ માને છે. શરૂઆતમાં અરુણાચલ પ્રદેશના ઉત્તરના વિસ્તાર તવાંગને લઈને ચીન દાવો કરતું હતું. જ્યાં ભારતનું સૌથી વિશાળ બૌદ્ધ મંદિર આવેલું છે. આંતરરાષ્ટ્રીય નકશામાં અરુણાચલને ભારતનો હિસ્સો માનવામાં આવ્યું છે. તે વાત ચીનથી પચતી નથી. ચીન પહેલેથી વિસ્તારવાદી દેશ રહ્યો છે. તે પોતાના દેશનો વિસ્તાર કરવામાં મશગૂલ છે. તેને ભારતનું અરૂણાચલ, સિક્કીમ પણ જોઈએ છે ને આ તરફ તાઈવાન પર પણ કબજો કરવો છે. અરૂણાચલનો ઈતિહાસ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર ટ્રેક્ટસ' તરીકે ઓળખાતો. 1914માં સીમલા કરારમાં મેકમોહન લાઈને ભારત-તિબેટને અલગ કર્યા 1947માં ભારત સંઘનો ભાગ બન્યું 1954માં 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સી' નામ બદલાયું 1962માં ચીને આક્રમણ કર્યું, યુદ્ધ પછી પાછા જતા રહ્યા 1972માં ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં 'અરુણાચલ પ્રદેશ' નામ 1987માં ભારતનું 24મું રાજ્ય બન્યું આવો રહ્યો છે અરૂણાચલ પ્રદેશનો ઈતિહાસ અરુણાચલના પ્રાચીન ઇતિહાસને લઈને બહુ સ્પષ્ટતા જોવા મળતી નથી. અરુણાચલ પ્રદેશ, આસામના પાડોશમાં છે અને અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં તિબેટ, મ્યાંમાર, ભૂતાનની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. 16મી સદીમાં તવાંગમાં બનેલું બૌદ્ધ મંદિર તેની ખાસ ઓળખ છે. તિબેટના બૌદ્ધો માટે આ એક પવિત્ર સ્થળ છે. માનવામાં આવે છે કે પ્રાચીનકાળમાં ભારતીય શાસકો અને તિબેટના શાસકોએ તિબેટ અને અરુણાચલ વચ્ચે કોઈ નિશ્ચિત સીમા નક્કી કરી ન હતી. 1912 સુધી તિબેટ અને ભારત વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા રેખા ખેંચવામાં આવી નહોતી. આ વિસ્તારો પર મુઘલ કે અંગ્રેજો કોઈનું નિયંત્રણ હતું નહીં. ભારત અને તિબેટના લોકો પણ કોઈ સ્પષ્ટ સીમા રેખાને લઈને નક્કી નહોતા કરી શકતા. બ્રિટનના શાસકોએ પણ આ પ્રાંત પાછળ કોઈ મહેનત કરી નહીં. તવાંગમાં જ્યારે સૌથી મોટું બૌદ્ધ મંદિર મળ્યું તો બોર્ડર નક્કી થવા લાગી. ડ્રેગનના જૂના પેંતરા 2006માં આખું અરુણાચલ ચીનનું હોવાનો દાવો 2010માં જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો માનવાનો ઈન્કાર 2017માં દલાઈ લામાની મુલાકાત બાદ અરુણાચલના 6 વિસ્તારનાં નામ બદલ્યાં 2020માં સમગ્ર ગલવાન ઘાટી પર દાવો 2023માં નવા 'સ્ટાન્ડર્ડ મેપ'માં અક્સાઈ ચીનને પોતાનો હિસ્સો ગણાવ્યો 1962ના યુદ્ધ પછી બંને દેશો વચ્ચે મોટા ઘર્ષણ થયા હતા છેલ્લે, 1962ના યુદ્ધ વખતે હિમાલયના દુર્ગમ વિસ્તાર રોઝાંગ લા પર્વત પર ચીનના 3 હજાર સૈનિકોએ હુમલો કર્યો ત્યારે ભારતની કુમાઉ બટાલિયનના 120 જવાનોએ બહાદુરીથી સામનો કર્યો. ત્યારે જોરદાર બરફવર્ષા થઈ રહી હતી. લોહી જામી જાય એવી ઠંડીમાં ભારતના 120 સૈનિકો લડ્યા. મહિનાઓ પછી જ્યારે બરફ ઓગળ્યો ત્યારે તેમના થીજી ગયેલા મૃતદેહો તેમનાં સ્થાનો પરથી મળ્યા. ચીની સૈનિકોના મૃતદેહો તેમની રાઇફલો જમીન તરફ રાખીને આર્મ્સ ડાઉન સેલ્યૂટ આપતા જોવા મળ્યા. એનો મતલબ એ કે ચીને શરણાગતિ સ્વીકારી હતી. આ ઘટના પરથી બનેલી ફિલ્મ '120 બહાદુર' થિયેટરોમાં ચાલી રહી છે અને તેમાં એક ડાયલોગ છે કે - આહિર હૈ હમ, કોઈ પ્યાર સે માગેગા તો જાન ભી દેંગે, જબ બાત દેશ પર આઈ તો 100 કી જાન લે ભી લેંગે… છેલ્લે, ચીન એવો દેશ છે જ્યાં લોકોને જાહેરમાં વિરોધ કરવાની મનાઈ છે. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનના ગુઈઝોઉ પ્રાંતના ગામડાંઓમાં જિનપિંગ સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગુઈઝોઉ પ્રાંતમાં મિયાઓ પ્રજાતિના લઘુમતીઓ રહે છે. તેમને સરકારે દફન કરવાને બદલે મૃતદેહ સળગાવવાનો આદેશ આપતાં લોકો ભડક્યા છે. ચીનના આ ગામડાંઓમાં જિનપિંગ સરકાર વિરૂદ્ધ 660 જગ્યાએ પ્રદર્શનો થઈ ચૂક્યા છે. જિનપિંગે એ સમજવાની જરૂર છે કે ચીન ભલે લોકશાહી દેશ નથી પણ લોકો તાકાત બતાવશે તો નેપાળ જેવી દશા થતાં વાર નહિ લાગે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કારણ કે આવતીકાલે 27 નવેમ્બરના આ માટે જ જામનગર કસ્ટમ વિભાગની ટીમ ઇન્સ્પેક્શન માટે આવી રહી છે. જે પહેલા આજે મોબાઇલ નેટવર્ક અને વાઇફાઇની સમસ્યા દૂર કરવા માટે BSNLની ટીમના સવારથી અહીં ધામા નંખાઈ ગયા છે. આ સાથે જ દરરોજ 30 મુસાફરો પાસેથી ફિડબેક લેવાનું શરૂ કરાયું છે. જેમાં મુસાફરો દ્વારા મોબાઇલ નેટવર્ક, વાઇફાઇ કનેક્ટિવિટી ન હોવાની સમસ્યા રજૂ કરી છે તો ફૂડ માટેની સુવિધા વધે તેવી પણ માંગણી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના એકમાત્ર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તે માટેની પણ અનેક મુસાફરોએ ડિમાન્ડ કરતાં હવે એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર કસ્ટમની એક ટીમ એરપોર્ટનું નિરીક્ષણ કરશેરાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ રૂ.326 કરોડના ખર્ચે નિર્માણ પામેલુ છે. જોકે આમ છતા મોબાઈલ નેટવર્ક ન મળવું, વાઇફાઇ બંધ હોવા ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ અને પીવાના પાણી સહિતની અનેક અસુવિધા બાબતે મુસાફરોના અવારનવાર સોશિયલ મીડિયામા વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે, ત્યારે આખરે એરપોર્ટ ઓથોરીટી જાગૃત બની હોય તેમ મોબાઈલ કવરેજ-વાઈફાઈ, ટર્મિનલની અંદર ફુડ આઉટલેટસ શરૂ કરવાની દીશામાં સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. કરોડોના ખર્ચે બનેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ નથી. તેવામાં આવતીકાલે તા.27ના રોજ જામનગર કસ્ટમની એક ટીમ એરપોર્ટની મુલાકાત લઈ નિરીક્ષણ કરી શું શું જરૂરીયાત છે તેની સમક્ષા કરશે. મોબાઇલ નેટવર્ક-વાઇફાઇની સમસ્યા દૂર કરવા BSNLની ટીમ પહોંચીઈન્ટરનેશનલ એરપોર્ટમાં મોબાઈલ કવરેજ પુરૂ પાડવા આજે બીએસએનએલની ટીમો ઉતારી દેવામાં આવી છે. આવતીકાલ સુધીમાં કવરેજની સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા છે. ગત તા.2 જુલાઈ 2025ના રોજ નવા ટર્મિનલમાં વાઈફાઈ સેવા શરૂ થઈ હતી જેમાં મુસાફરોને એકસેસ સમય 30 મિનિટનો હતો તે વધારીને હવે 45 મિનિટથી વધારી દેવામાં આવ્યો છે. 10 ડિસેમ્બર સુધીમાં નેસ કાફે, સ્ટાર બક્સ આઉટલેટ શરૂ થશેએરપોર્ટની સુવિધા વધારવા એરપોર્ટ ડીરેકટર દિગંત બોરાહ સક્રિય થઈ ચૂક્યા છે, ત્યારે મુસાફરોને માટે ટર્મિનલ બિલ્ડિંગની અંદર નેટવર્ક મજબુત બનાવવા ઈન બિલ્ડીંગ સોલ્યુશન્સ (આઈબીએસ) માટેના ટેન્ડરમાં કોઈ ભાગીદારી મળી ન હતી તેથી તે નિષ્ફળ જતા ફરીથી ટેન્ડરીંગ શરૂ કરવામાં આવ્યું છે. ટર્મિનલ અંદર ફુડ આઉટલેટસ ખોલવા મુસાફરોની માંગણીને ધ્યાને લઈ એક અઠવાડીયામાં નવું નેસ કાફે આઉટલેટ અને સ્ટાર બકસ આઉટલેટ 10 ડિસેમ્બર સુધીમાં કાર્યરત થનાર છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા માટેની પણ તમામ તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં માંગ કરાઈ હતી કે દ્વારકાના આસિસ્ટન્ટ કલેકટરે તેમને BNSS 152 અંતર્ગત પત્ર વ્યવહાર કરીને કેટલીક માહિતી માંગી છે. જેમાં માંગવામાં આવેલી માહિતી તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તે સત્તા ચેરીટી કમિશ્નર પાસે છે. તેથી તે માહિતી માંગતા પત્રને રદ કરવામાં આવે. આસિસ્ટન્ટ કલેકટરે પત્ર લખી ટ્રસ્ટ પાસે માહિતી માગતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યોનાગેશ્વર મંદિર ટ્રસ્ટ સાથે દ્વારકાના આસિસ્ટન્ટ કલેકટરે 13 ઓક્ટોબર અને 13 નવેમ્બરના રોજ પત્ર વ્યવહાર કર્યો હતો. જેને નાગેશ્વર મંદિર ટ્રસ્ટે હાઇકોર્ટમાં પડકારેલ છે. સરકારી વકીલે કહ્યું હતું કે, પત્ર ફક્ત માહિતી માંગવા મોકલાયો હતો. તેનો જવાબ અરજદારોએ આપ્યો નથી. તેની ઉપર અત્યારે કોઈ પગલાં લેવાના થતા નથી. આસિસ્ટન્ટ કલેકટરને ટ્રસ્ટમાં ચાલતી અનિયમિતતાઓ અંગે ફરિયાદ મળી હતી. જે અંગે ફક્ત પૂછપરછ કરવા અરજદારને બોલાવવામાં આવ્યા હતા. જો કે અરજદારોએ જણાવ્યું હતું કે BNSS 152 ન્યુસન્સ દૂર કરવા મેજીસ્ટ્રેટને નોટિસ કાઢવાની સત્તા બાબત દર્શાવે છે. પરંતુ આ પત્ર વ્યવહારમાં મંદિરના વહીવટને લગતી બાબતોની માહિતી માંગવામાં આવી છે. કલેકટર ઓફિસમાં પરેશ કેશુ ભારતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વળી અરજદાર દ્વારા ટ્રસ્ટનું તમામ કામ યોગ્ય રીતે થતું હોવાનો જવાબ પણ આપવામાં આવ્યો છે. ટ્રસ્ટ સંબંધી બાબતોમાં ચેરિટી કમિશનર જવાબદાર હોય ત્યારે આસિસ્ટન્ટ કલેક્ટરે કેવી રીતે પત્ર મોકલ્યો ? વળી તેમાં સ્થાનિક ધારાસભ્ય, સરપંચ અને હસમુખ ભારતીનો રેફરન્સ આપવામાં આવેલ છે. પત્રમાં કેટલી દાનપેટી મૂકવી તેની નકલ, દાનપેટીઓને ખોલવા અને સીલબંધ કરવાની નિયમ પદ્ધતિ, દાનમાંથી પૂજારી અને ટ્રસ્ટને વહેંચણીની બાબતો પૂછવામાં આવેલ છે. ગેરકાયદેસર દુકાન વગેરે બાબતો અંગે રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય અને સરપંચની વહીવટી તંત્ર ઉપર અસર જોવા મળે છે. આ પોલિટિકલ ઈન્ફ્લુએન્સ છે. પત્રમાં ન્યૂસનને લગતી કોઈ બાબત નથી. સરકારી વકીલે કહ્યું હતું કે વારવાર મળતી ફરિયાદથી ભક્તોને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાયા છે. કોર્ટે કહ્યું હતું કે અરજદારે ન્યાયિક અધિકાર બાબતે કોર્ટમાં અરજી કરી છે. સરકારી વકીલે કહ્યું હતું કે આસિસ્ટન્ટ કલેક્ટરે ફક્ત જવાબ માંગ્યો છે. શા માટે મંદિર ટ્રસ્ટ તેનો જવાબ આપવા નથી માંગતું, જો ભક્તો પૈસા ખર્ચીને દર્શન નથી કરતા તો વાંધો શું છે ? સ્વચ્છતા અને પૈસા આપીને દર્શનની વાત છે. પરંતુ તેમ છતાંય સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ 152 BNSS અંતર્ગત આવતા વિષય ઉપર યોગ્ય કાર્યવાહી શરૂ નહીં કરે ત્યાં સુધી મંદિર વહીવટને લગતા પ્રશ્નો અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય. આ સાથે જ અરજીનો નિકાલ કરાયો હતો. આ સમાચાર પણ વાંચોઃદ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગ વિવાદમાં ટ્રસ્ટીઓ V/S પૂજારી, ભાસ્કર સમક્ષ કર્યા ઘટસ્ફોટ લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર અને 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા નાગેશ્વર મહાદેવ મંદિરમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો છે. છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહેલા આ વિવાદમાં મંદિરના 2 ટ્રસ્ટી અને પૂજારી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. બન્ને પક્ષોએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં એકબીજા પર ખળભળાટ મચાવતા આરોપ લગાવ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. વિવિધ યોજનાઓ અને ગ્રામ્ય કક્ષાએ પાણી સમિતિઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા પીવાના પાણીની યોજનાઓ અંતર્ગતની કામગીરી અંગે પણ ચર્ચા થઈ. આ ઉપરાંત, ગ્રામ પંચાયતોને પાણીવેરા વસૂલાત માટે પ્રોત્સાહન રકમની ફાળવણી પણ કરવામાં આવી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા આયોજન અધિકારી સહિતના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, વડોદરા અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ ઈ બી) વડોદરા દ્વારા પ્રો. સી સી મહેતા ઓડિટોરિયમ, એમ એસ યુનિવર્સિટી કેમ્પસ, વડોદરા ખાતે આજે જિલ્લાકક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને PMVBRY સેમિનાર યોજાયો હતો. આ રોજગાર મેળામાં 1000 વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે 35 નોકરીદાતા હાજર રહ્યા હતા. ભરતી મેળામાં 567 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 210 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી જેમા 34 દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી. તેમજ ફ્રી વોકેશનલ તાલીમ માટે 34 ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી. ભરતી મેલાના મુખ્ય મહેમાન તરીકે એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફ. ડૉ. ભાલચંદ્ર ભણગે ઉપસ્થીત રહયા હતા. તેમજ મદદનીશ નિયામક રોજગાર અલ્પેશ ચૌહાણ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ ડૉ. કમલપ્રીત સેગી, મદદનીશ નિયામક એનસીએસ ડીએ યોગેશ્વર યાદવ, મદદનીશ પી એફ કમિશનર સુધિરસીંગ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા રોજગાર કચેરીના તમામ વર્ગના યુવાનો, મહિલા, દિવ્યાંગજન તેમજ એકસ સર્વિસમેન તથા વિર નારીને ઓનલાઈન રોજગારી શોધવા અનુબંધમ પોર્ટલ, એનસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા, તેમજ વિદેશ અભ્યાસ અને શિક્ષણ માટે જતા પહેલા રોજગાર કચેરીના ઓવરસીસ કાઉન્સેલર પાસેથી ગાઈડનાસ મેળવીને સેફ લીગલ માઈગ્રેશન કરવા તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ લેવા તેમજ નોકરીદાતા અને યુવાનોને પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળ રજિસ્ટ્રેશન કરાવીને લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ગામમાં હાલના સરપંચ, ઉપસરપંચ અને ખાસ કરીને માજી સરપંચના ત્રાસ તથા દાદાગીરીથી કંટાળીને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સામુહિક હિજરત કરવાની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગામના રાજકીય વર્ચસ્વ ધરાવતા માજી સરપંચ દ્વારા સતત જ્ઞાતિગત વૈમનસ્ય ઊભું કરવામાં આવતું હોવાથી અને દલિત સમાજને ટાર્ગેટ બનાવી ધંધા-રોજગાર બંધ કરાવી ભૂખે મારવાના પ્રયાસો થતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બંધારણ દિવસે ન્યાય માટે લડત: દલિત સમાજની વ્યથા તાલુકા પંચાયતના સદસ્ય અને ચોકી ગામના રહીશ પ્રવીણભાઈ સોલંકીએ આ રજૂઆતની આગેવાની લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે 26 મી નવેમ્બર, સમગ્ર દેશમાં સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમારે ન્યાય માટે આવેદનપત્ર પાઠવવા અહીં આવવું પડ્યું છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.પ્રવીણભાઈએ મુખ્ય સમસ્યા વર્ણવતા કહ્યું કે ચોકી ગામમાં માજી સરપંચ અને હાલના સરપંચના સસરા, ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા, તેમના કુટુંબીજનો અને ભાઈઓ દ્વારા સતત ગામની શાંતિ ડહોળાય તેવા પ્રયાસો થાય છે. તેઓ અન્ય સમાજોમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી ફેલાવે છે અને સામાન્ય વ્યક્તિગત ઝઘડાઓને પણ જ્ઞાતિગત સ્વરૂપ આપીને સમગ્ર દલિત સમાજને ટાર્ગેટ બનાવે છે. આવેદનપત્રમાં સૌથી ગંભીર આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે માજી સરપંચ, હાલના સરપંચ, ઉપસરપંચ અને તેમના માણસો દાદાગીરીથી ગામની દુકાનો બળજબરીથી બંધ કરાવે છે. આ પાછળનો હેતુ એવો છે કે દુકાનદારોનો માલ-સામાન અનુસૂચિત જાતિના લોકોને ન મળે અને આ સમાજ ભૂખે મરે. આ પ્રકારના પ્રયાસોથી ગામમાં બે કોમો વચ્ચે સતત ખટરાગ ચાલુ રહે છે. અનુસૂચિત જાતિના વ્યક્તિ સંડોવાયેલા હોય તેવા કિસ્સામાં જ બળજબરીથી દુકાનો બંધ કરાવવામાં આવે છે. સમાજે ચોકી ગામમાં આવેલી તમામ દુકાનો શોપ લાયસન્સ વિનાની ચાલતી હોય, તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. માજી સરપંચ પર ગંભીર ગુનાઓ અને ભ્રષ્ટાચારના આરોપો આવેદનપત્રમાં માજી સરપંચ ભીખાભાઈ કોટડીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સમાજની રજૂઆત મુજબ, ભીખાભાઈ કોટડીયા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં આશરે છ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં બેન-દીકરીઓની છેડતી, જુગાર, મારામારી અને એટ્રોસિટીના ગુનાઓનો સમાવેશ થાય છે. વધુમાં, તેમના શાસનકાળ દરમિયાન તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગેલા છે.તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું કે ભીખાભાઈ કોટડીયા રાજકીય વર્ગ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ મનસુખભાઈ વાઘેલાએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યું કે, ભીખાલાલ કોટડીયા અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવા છતાં અને ભ્રષ્ટાચારના પુરાવાઓ હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. હુમલા અને જાનથી મારી નાખવાના પ્રયાસો સમાજે કલેક્ટરને રજૂઆત કરી કે ભીખાભાઈ કોટડીયા ઝનૂની સ્વભાવ ધરાવતા હોવાથી તેમને ગામમાંથી હદપાર, તડીપાર કે પાસા કરવા જોઈએ. છેલ્લા વીસ થી પચીસ વર્ષથી આ સમાજના વ્યક્તિઓ પર ગમે તે રીતે હુમલાઓ કરવામાં આવે છે. તાજેતરમાં, તા. 23/11/2025ના રોજ ગ્રામ પંચાયતે બનેલા બનાવમાં સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ ભીખાભાઈ કોટડીયા તથા તેમના કુટુંબીજનો, ભાઈઓ અને આશરે 200 થી 300 માણસોના ટોળા ભેગા કરીને અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવી જાનથી મારી નાખવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજમાં પણ ટોળું દેખાઈ આવે છે. સમાજે તેમના જાનના જોખમને ટાંકીને ભીખાભાઈ અને તેમના સાથીદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાયોટીંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. દિન-15 માં કાર્યવાહી નહીં થાય તો સામુહિક હિજરત અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ મનસુખભાઈ વાઘેલાએ બંધારણ દિવસના સંદર્ભમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે એસસી/એસટી સમાજ માટે જે કાયદાઓ બનાવ્યા છે, તેની અમલવારી હાલના સમયમાં યોગ્ય રીતે થતી નથી. ઘણા એટ્રોસિટીના કિસ્સાઓમાં ટેબલ જામીન આપી દેવામાં આવે છે, જેના કારણે અત્યાચાર કરનારા તત્વો વધુ બેફામ બને છે.સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટરને આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, આ બાબતે જો દિન-15 માં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને આવા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં આવે, તો સમસ્ત અનુસૂચિત જાતિના લોકોને સામુહીક હિજરત કરવાની ફરજ પડશે. સમાજે કલેક્ટરને આવા શખ્સો વિરુદ્ધ યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરવા માંગણી કરી છે.
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EWS આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે જોકે કોન્ટ્રાક્ટરો દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી ત્યારે તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવતા હોય છે. શહેરના વિવિધ વિસ્તારમાં EWS આવાસ યોજના બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માટેની વર્ષ 2019થી કોર્ટ કાર્યવાહી સહિતની પ્રક્રિયા આખરે પૂર્ણ થતા કોન્ટ્રાક્ટર એમ.વી. ઓમ્ની (ઇન્ડ્યિા) લી. ને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. 2018માં આ આવાસો બનાવવાની કામગીરી અધૂરી છોડવામાં આવી હતીમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ-7માં મોટેરામાં 336, થલતેજમાં 126, ગોતામાં 210, મળી કુલ 672 અને પેકેજ-8 હેઠળ ચાંદખેડામાં 154 મકાનો 8 દુકાન, થલતેજમાં 630 મકાનો મળી કુલ 784 મકાનો બનાવવા માટે એમ.વી. ઓમ્ની પ્રોજેક્ટ (ઇન્ડિયા) લી.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ફેઝ -7માં 75 ટકા જ્યારે ફેઝ-8માં 66.24 ટકા જેટલી કામગીરી કરી હતી. 2018માં આ આવાસો બનાવવાની કામગીરી અધૂરી છોડવામાં આવી હતી. જે બાદ મ્યુનિ. દ્વારા કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે આ કામગીરી 2022માં પૂર્ણ કરવી હતી. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્તકોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે અંગે હાઇકોર્ટે મૌખિક હુકમ કરી કોન્ટ્રાક્ટરને આ મામલે કમિશનર સમક્ષ રજૂઆત કરવા સૂચના આપી હતી. કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનને એવો જવાબ આપ્યો હતો કે, કામગીરી પૂર્ણ કરવા માટે તેમની પાસે નાણાં નથી. જેથી મ્યુનિ. દ્વારા કામગીરી પૂર્ણ કરવા માટે વારંવાર મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો હતો. જોકે તેમ છતાં કામગીરી પૂર્ણ કરાઇ ન હતી. જે બાદ તમામ પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટર એમ.વી. ઓમ્ની (ઇન્ડિયા) લી.ને જુન 2019થી 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાતા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.
શંખેશ્વરના પ્રસિદ્ધ જૈન તીર્થધામ ખાતે છ જૈન સંતાનોએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે યોજાયો હતો. આ દીક્ષા મહોત્સવ પ.પૂ.આ. શ્રીમદ્દ વિ. રત્ન ચંન્દ્રસુરીશ્વજી મ.સા. સાહેબની પ્રેરણા અને અન્ય સાધુ-સંતોના આશીર્વાદથી સંપન્ન થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા ગ્રહણ કરનાર આ છ સંતાનોએ ધન-દોલત, પરિવાર, સગાં-વહાલાં અને મિત્રોનો ત્યાગ કરી આધ્યાત્મિક જીવન અપનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ભૌતિક સુખોનો મોહ છોડી મોક્ષના માર્ગે પ્રયાણ કર્યું છે. દીક્ષા લેનારાઓમાં મુમુક્ષુ અંજલી કુમારી, સીતાબેન, મયુરીબેન, દ્રષ્ટિબેન, ખુશીબેન અને પૂજાબેનનો સમાવેશ થાય છે. આ પૈકી મુમુક્ષુ અંજલી કુમારી ધાનેરા ગઢ નિવાસી અને હાલ મુંબઈમાં રહેતા કાંતિલાલ વિનાયકિયા પરિવારના સુપુત્રી છે.
ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરના રમતગમત પ્રેમીઓ માટે 2030નું વર્ષ ગુજરાતના નામે લખાઇ ગયું છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાશે જેની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. રમત ગમતના આ મહાકુંભનું આયોજન ગુજરાતના વિકાસ, પ્રવાસન અને યુવા શક્તિ માટે ગેમ ચેન્જર સાબિત થશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયામાં સૌથી પહેલો ઇન્ટરવ્યૂ દિવ્ય ભાસ્કરને આપ્યો છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ માટે રાજ્યની તૈયારીઓ અને વિકાસની બ્લૂ પ્રિન્ટ સમજાવી છે સાથે જ કહ્યું કે ગુજરાતને ઓલિમ્પિક માટેનું મોટું પ્લેટફોર્મ મળી ગયું છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જવાબ.... દિવ્ય ભાસ્કરઃ 2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાશે તેની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની તૈયારીઓનો રોડ મેપ શું છે?મુખ્યમંત્રીઃ કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવી એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ યજમાની ભારતને મળી એ દર્શાવે છે કે રમત ગમત ક્ષેત્રે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટસ ઇકો સિસ્ટમ વિશ્વસ્તરીય છે, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની યજમાની માટે ભારત સંપૂર્ણ રીતે સજ્જ છે. આ આયોજનથી ખેલ જગતની પ્રતિભાઓને નવી ઉડાન મળશે અને તેમના માટે વિકાસના નવા દ્વાર ખુલશે. આ પહેલ યુવા સશક્તિકરણ અને સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની છબિને વૈશ્વિક બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મુકે છે. 'ગુજરાતે આ દિશામાં સતત સક્રિય પ્રયાસ કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ખેલ સુવિધાઓનો વિસ્તાર થશે અને યુવાનો, ખેલાડીઓને તાલીમ, રોજગાર તેમજ આંતરરાષ્ટ્રીય અનુભવ મળશે.' દિવ્ય ભાસ્કરઃ કોમનવેલ્થ ગેમ્સને ગુજરાતમાં લાવવા માટે રાજ્ય સરકારે શું પ્રયત્ન કર્યા હતા?મુખ્યમંત્રીઃ રમત ગમત ક્ષેત્રે ઇકો સિસ્ટમ વધુ સુદૃઢ અને આધુનિક બનાવવાના પ્રયાસોમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતને રમત ગમત ક્ષેત્રે વધુને વધુ આગળ વધારવા માટેની તૈયારી કરાવી હતી. જેના અનુસંધાને ગુજરાત છેલ્લા કેટલાય સમયથી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારી તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. દિવ્ય ભાસ્કરઃ ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની પણ ગુજરાતને મળે તે માટે તમે કેટલા આશાવાદી છો?મુખ્યમંત્રીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા બિઝનેસ, રોજગારથી માંડીને કોઇપણ ક્ષેત્રમાં ગુજરાતના યુવાનો ગ્લોબલ કોમ્પિટિશન કરવા માટે સજ્જ થાય તેવું ઇચ્છે છે. કોમનવેલ્થ ગેમ્સ ભારતને મળી છે અને તેમાં પણ ગુજરાતમાં આવી રહી છે ત્યારે ગુજરાતને ઓલિમ્પિક માટેનું આ મોટું પ્લેટફોર્મ મળી ગયું તેવું કહી શકાય.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓ નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડા પહોંચ્યા હતા અને માત્ર પાંચ મિનિટના નિરીક્ષણ બાદ અમદાવાદ જવા રવાના થયા હતા. આ મુલાકાત સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની નેશનલ હાઈવે સંબંધિત રજૂઆતોના સંદર્ભમાં હતી. કેન્દ્રીય મંત્રી ગડકરી અમદાવાદથી હવાઈ માર્ગે હેલિકોપ્ટરમાં હિંમતનગરના સાબરડેરી પાસેના હેલિપેડ ખાતે ઉતર્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા. હેલિપેડ પર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું. હેલિપેડ પરથી કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી અરવેનિયા એમપીવીમાં બેસીને હિંમતનગરના મોતીપુરામાં આવેલા લાંબા ઓવરબ્રિજ નીચે પહોંચ્યા હતા. ત્યાં તેમણે નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. માત્ર પાંચ મિનિટના રોકાણ બાદ તેઓ અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. અગાઉ પ્રાંતિજના રસુલપુર અને મજરા ખાતે પણ રોકાણ કરે તેવી શક્યતા હતી.
પાલનપુરમાં આશા-આંગણવાડી કાર્યકરોને તાલીમ:બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ આયોજન કરાયું
બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ગઢવીના માર્ગદર્શન હેઠળ પાલનપુરના આંબેડકર હોલ ખાતે આશા અને આંગણવાડી કાર્યકર બહેનો માટે સંયુક્ત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત યોજાઈ હતી. આ તાલીમમાં આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોને આરોગ્યલક્ષી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં કુપોષણ, માનસિક તણાવ, પ્રજનનને લગતા રોગો અને આધુનિક જીવનશૈલીની આરોગ્ય પર થતી વિપરીત અસરો વિશે ઊંડાણપૂર્વક સમજણ અપાઈ હતી. આ ઉપરાંત, ICDSની વિવિધ યોજનાઓ જેવી કે પૂર્ણા યોજના અને પોષણ સંગમ કાર્યક્રમ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની અન્ય વિવિધ યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
ભૂમાફિયાઓ પર તંત્ર ત્રાટક્યું:ગાંધીનગર જિલ્લામાં ત્રણ દિવસમાં 19 ડમ્પર સહિત 6 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત રેતી, બ્લેકટ્રેપ, માટીનું ખનન અને વહન કરતા ભૂમાફિયાઓ સામે ભૂસ્તર તંત્રએ કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. ભૂસ્તર તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં સતત રોડ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે આશરે 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત રેતી, બ્લેકટ્રેપ, માટીનું ખનન અને વહન કરતા ભૂમાફિયાઓ સામે ભૂસ્તર તંત્રએ લાલ આંખ કરી આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ તંત્રની ની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના રાંધેજા, અડાલજ, ખોરજ, છત્રાલ, વડસર, કલોલ, બોરીસણા, ગીયોડ, શેરથા, નારદીપુર, લવારપુર અને ડભોડા સહિતના વિવિધ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ભૂસ્તરતંત્રની તપાસ દરમિયાન કુલ 20 વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. જેમાંથી 11 ડમ્પર વાહનો રોયલ્ટી પાસ વગર ખનીજનું વહન કરતા જ્યારે 8 ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ વહન કરતા ઝડપાયા છે. ઉપરાંત ડભોડા સીમ વિસ્તારમાં સાદી રેતી ખનીજનો બિનઅધિકૃત સંગ્રહ કરીને ડમ્પર (GJ-18-BT-9242) માં વહન કરતા લોડર મશીનને જપ્ત કરવામાં પણ આવ્યું છે. આ જપ્ત કરાયેલા 19 ડમ્પર અને 1 લોડર મશીન સહિત કુલ 6 કરોડનો મુદ્દામાલ ગણવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ વાહન/મશીન માલિકો પાસેથી ગુજરાત મિનરલ નિયમો-2027 હેઠળ કુલ 32.14 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજના જથ્થાની માપણી કરીને દંડકીય રકમની વસૂલાત અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
જામજોધપુરમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:અનૈતિક સંબંધોની શંકાએ પથ્થર મારી પત્નીને પતાવી દીધી હતી
જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક પરપ્રાંતિય શ્રમિક મહિલાની હત્યાના કેસમાં તેના પતિની ધરપકડ કરવામાં આવી છે. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકાના આધારે પતિએ પથ્થર મારી હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. આ ઘટના જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે બની હતી. ગુલીબેન નારિયાભાઈ બામણીયા (ઉંમર 25) નામની શ્રમિક મહિલા તેની ઝૂંપડીમાં રહેતી હતી. ત્યારે ચારિત્ર્ય પર શંકા રાખીને તેના પતિએ ઉશ્કેરાટમાં આવી માથામાં ધારદાર પથ્થરનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જામજોધપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે કોમ્બિંગ કરીને હત્યારા આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને લોકઅપમાં રાખવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેને પોતાની પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી. આ વહેમના કારણે તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

26 C