SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

ગોગા મહારાજના મંદિરમાં ચોરી:સતલાસણાના ઓરડા ગામે મંદિરના તાળા તોડી તસ્કરો 1.13 લાખની મત્તા ચારી કરી ફરાર

મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતા ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો સક્રિય બન્યા છે. જિલ્લાના સતલાસણા તાલુકાના ઓરડા ગામે પ્રજાપતિ વાસમાં આવેલા ગોગા મહારાજના મંદિરના તાળા તોડી તસ્કરો ચાંદીના નાગ-શતર અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 1.13 લાખના મત્તાની ચોરી અંગે સતલાસણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મંદિરના તાળા તોડી તસ્કરો 1.13 લાખની મત્તા ચારી કરી ફરારમહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા તાલુકાના ઓરડા ગામે પ્રજાપતિ વાસમાં આવેલા ગોગા મહારાજાના મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરોએ તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી દાન પેટી થતા એમાં રહેલા રોકડા, 80 હજાર કિંમતના પાંચ ચાંદીના નાગ, 15 હજાર કિંમતના 5 ચાંદીના પારણા, પંચ ધાતુનું એક શતર કિંમત 1000, તાંબાના નાગની મૂર્તિ કિંમત 1500 મળી કુલ 1 લાખ 13 હજાર 500ના મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવીઆજે વહેલી સવારે પૂજારી જ્યારે મંદિરે ગયા એ દરમિયાન તાળા તૂટેલા જોઈ મહોલ્લામાં આ બાબતે જાણ કરી હતી. ત્યાર બાદ સ્થાનિક લોકોએ આજુબાજુ તપાસ કરતા ચોરી કરેલો સમાન ક્યાંય ન મળી આવતા ડાહ્યાભાઈ પ્રજાપતિએ સતલાસણા પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:51 pm

મહેસાણામાં પૂળા ભરેલી ટ્રકમાં ભીષણ આગ:ફાયર વિભાગે ઉચપરી ગામ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, પૂળા બળીને ખાખ

મહેસાણાના ઉચરપી ગામથી પસાર થતા પૂળા ભરેલા ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા તેમાં ભરેલા તમામ પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ ગામના યુવકોને થતા ટ્રક ગામના તળાવ પાસે મુકાવી હતી અને આગ બુજવવા પ્રયાસ કર્યા હતા. જોકે, આગ બુઝાઈ નહોતી. ત્યાર બાદ યુવકોએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ટ્રકમાં ભરેલા પૂળા આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. પૂળા ભરેલી ટ્રકમાં ભીષણ આગમહેસાણા તાલુકાના ઉચરપી ગામ થઈને GJ24X5461 નંબરની ટ્રકનો ડ્રાઇવર ડફેર ઝાકીરશા પસાર થઈ આગળના ગામે જતો હતો. એ દરમિયાન ટ્રકના પાછળના ભાગે ધુણા નીકળતા જોઈ ઉચરપી ગામના પાદરે બેસેલા યુવકોએ ડ્રાઇવરને ટ્રક ઉભી રખાવી આગ લાગી હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ ફાયરને જાણ કરતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી 12,000 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સમગ્ર આગની ઘટનામાં ટ્રકમાં રહેલા પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાબુ મેળવ્યોસમગ્ર ઘટનામાં ઉચરપી ગામના ચૌધરી નિર્મલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ ટ્રક મહેસાણા બાજુથી આવી રહી હતી અને અમારા ગામ થઈ પસાર થતી હતી. એ દરમિયાન ટ્રકના પાછળના ભાગે ધુમાડા નીકળતા અમે ડ્રાઇવરને આ બાબતે જાણ કરી હતી. ત્યાર બાદ ધીમેધીમે આગ લાગતા આ ટ્રક ડ્રાઇવર ગામના તળાવમાં લઇ ગયો હતો. જ્યાં પાણી વડે આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવતા આગ બુઝાઈ નહોતી. ત્યાર બાદ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો અહીં આવી આગ પર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:46 pm

જામનગરમાં SIR અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા બેઠક:અનુપમ આનંદે ચૂંટણીલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું

જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર, તમામ ERO, AERO અને Add. AERO ઉપસ્થિત રહ્યા હતા. અનુપમ આનંદે ચૂંટણીલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અધિકારીઓને મેપિંગની કામગીરી વધારવા, બૂથ લેવલ ઓફિસર્સ (BLO)ને SIR અંતર્ગત આગામી કામગીરી માટે તાલીમ આપવા અને તમામ કામગીરી ચોકસાઈપૂર્વક તથા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે નવા મતદારોના ફોર્મ નંબર 6 સત્વરે મેળવવા અને આ સંદર્ભે વિશેષ કેમ્પ યોજવા પણ નિર્દેશ આપ્યો હતો. વધુમાં, અનુપમ આનંદે સમયાંતરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને સહકાર સાધવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જિલ્લાનું ચૂંટણી તંત્ર એવી રીતે કામગીરી કરે કે મતદારયાદી ખરા અર્થમાં ચોકસાઈભરી અને ભૂલરહિત બને. જામનગર જિલ્લામાં SIR અંતર્ગત થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ, રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:25 pm

સિદ્ધપુરમાં શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ:જિલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ કરી કાર્યવાહી કરી

જિલ્લા પુરવઠા અધિકારી, પાટણ અને પુરવઠા નિરીક્ષકોની ટીમે સિદ્ધપુર શહેરમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સિદ્ધપુરના કાકોશી ફાટક પાસે આવેલા શ્રીજી આર્કેડ, જી-30 ખાતે ઠાકોર અજીતસિંહ જવાનજીની દુકાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં દુકાનમાંથી આશરે 1843 કિલોગ્રામ ચોખા, 386 કિલોગ્રામ ઘઉં, 45 કિલોગ્રામ બાજરી અને 54 કિલોગ્રામ ચણા મળી આવ્યા હતા. આ અનાજના જથ્થાનું કુલ અંદાજિત મૂલ્ય રૂ. 65,654 થવા પામે છે. દુકાન માલિકને આ જથ્થા અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અનાજ લોકો દ્વારા છૂટક વેચાણ માટે લાવવામાં આવે છે. જોકે, આ બાબતે કોઈ બિલ કે અન્ય પુરાવા રજૂ કરી શકાયા ન હતા. જથ્થા અંગે સંતોષકારક પુરાવા ન મળતા અને નિયમવિરોધી જણાતા, જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા નિરીક્ષકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-1977 ની કંડિકા-11 મુજબ આ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:19 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો:યુવા એમ્બેસેડર વિદિત શર્માએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત જીવનનું માર્ગદર્શન આપ્યું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નેશનલ ટાસ્ક ફોર્સ અંતર્ગત 'માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ વ્યાખ્યાનમાં ગુજરાત સરકારના યુવા એમ્બેસેડર વિદિત શર્માએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યની સંભાળ અને તણાવમુક્ત જીવન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આ વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમમાં કુલસચિવ આર.એન. દેસાઈ, મુખ્ય વક્તા વિદિત શર્મા, ડો. સંગીતાબેન શર્મા અને કમલેશ કે. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ કે. ઠક્કરે મહેમાનોનો પરિચય આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા, તણાવમુક્ત રહેવા, પૂરતી ઊંઘ લેવા અને જીવનની દરેક ક્ષણને આનંદથી માણવા અંગે જાગૃત કરવાનો છે. કુલસચિવ રોહિત દેસાઈએ સોશિયલ મીડિયાની માનવ જીવન પર થતી અસરો વિશે માહિતી આપી હતી અને તેના સકારાત્મક તેમજ નકારાત્મક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા વિદિત શર્માએ 'માનસિક સ્વાસ્થ્યની સંભાળ' વિષય પર પ્રવચન આપ્યું હતું. તેમણે સમજાવ્યું કે શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્ત્વનું છે, તેમ છતાં તેના પર ઘણીવાર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તણાવ, ચિંતા અથવા હતાશા અનુભવવી સામાન્ય છે. શર્માએ માનસિક સ્વાસ્થ્યને વ્યક્તિની ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારી તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું, જે વ્યક્તિ કેવી રીતે વિચારે છે, અનુભવે છે અને કાર્ય કરે છે તેના પર અસર કરે છે. તેમણે પોતાના વ્યક્તિગત જીવનની મુશ્કેલીઓમાંથી બહાર આવવાના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પણ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓને આત્મહત્યા ન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ ડો. સંગીતાબેન શર્મા દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:17 pm

ગોધરામાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું 'સનાતન ધર્મ જાગૃતિ અભિયાન':પંચમહાલ જિલ્લામાં 16 થી 21 ડિસેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં ધાર્મિક વાતાવરણને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન'નો પ્રારંભ થયો છે. અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાનિધ્યમાં 16 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ આ અભિયાન શરૂ થયું. આ અભિયાનની શરૂઆત ગોધરા રેલવે સ્ટેશનથી સાંજે 8:30 કલાકે પ્રસ્થાન થનારી ભવ્ય નગરયાત્રાથી થઈ. આ યાત્રા સમગ્ર શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જીને નાગરિકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના ઊભી કરશે. નગરયાત્રા બાદ, 17 થી 21 ડિસેમ્બર દરમિયાન ગોધરાના શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરે દરરોજ સવારે 8:30 થી 12:30 વાગ્યાના સમયગાળામાં દીક્ષા, દર્શન અને સત્સંગના કાર્યક્રમો યોજાશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા ધાર્મિક પ્રવચન અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવશે. આ અભિયાન માત્ર શહેર પૂરતું સીમિત નથી. 18 અને 19 ડિસેમ્બર દરમિયાન ઘોઘંબા તાલુકાના ઝોઝ અને ભીલોડ તેમજ જાંબુઘોડા તાલુકાના મલબાર અને હાલોલ ખાતે ધર્મસભાઓ યોજીને ગ્રામ્ય વિસ્તારો સુધી ધર્મના મૂલ્યો પહોંચાડવામાં આવશે. વધુમાં, 20 ડિસેમ્બર 2025ના રોજ શહેરાના મહાલક્ષ્મી મંદિર ખાતે બપોરે 2:00 વાગ્યે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સમગ્ર અભિયાનનું સમાપન 21 ડિસેમ્બર 2025ના રોજ ગોધરાના ન્યૂ ઇરા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બપોરે 3:30 વાગ્યે યોજાનારી ભવ્ય ધર્મસભા સાથે થશે. આયોજક 'સમસ્ત બ્રહ્મ સમાજ જગદગુરૂ શંકરાચાર્ય સેવા સમિતિ, ગોધરા' દ્વારા શહેર અને જિલ્લાના તમામ સનાતન ધર્મપ્રેમીઓને આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈને ધર્મલાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:15 pm

રાજકોટ સમાચાર:25 મીએ સ્વદેશી સાઈક્લોથોન, 28 મીએ સ્વદેશી રન, લક્કી ડ્રો મારફત 5 વિજેતાઓને ઈનામ અપાશે

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ’લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી, 2047ના વિકસીત ભારત અને મેક ઇન ઇન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી પહેલને આગળ વધારવા રાજકોટ મહાપાલિકા દ્વારા તા.25 ગુરૂવારના રોજ સ્વદેશી સાઈક્લોથોન અને તા.28ને રવિવાર રોજ સ્વદેશી રનનું આયોજન કરવામાં આવેલ છે.સ્વદેશી સાઈક્લોથોન અને સ્વદેશી રન રાજકોટ શહેરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયત્ન છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક શહેરીજનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી (વેબસાઈટ : www.rmc.gov.in) શરૂ કરવામાં આવ્યું છે. સાયકલોથોન : 5 કિ.મી.ની સાયકલોથોનમાં તા.25 ના સવારે 6.30 કલાકે બહુમાળી ચોકથી શરૂ થઇ રેસકોર્સ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ, મ્યુનિ. કમિશ્ર્નર બંગલો, વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ ચોક, કિસાનપરા, મેયર બંગલો, પોલીસ હેડ કવાર્ટર, સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ચોક ખાતે પૂર્ણ થશે. ફ્રી રજીસ્ટ્રેશન સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન, જાતે સાયકલ લાવવા, 12 વર્ષથી નીચેના રજીસ્ટ્રેશન નહીં થાય તેવું જણાવાયું છે.ડ્રો મારફત લકકી પાંચ વિજેતાને ઇનામમાં સાયકલ આપવામાં આવશે. સ્વદેશી રન : તા. 28ના રવિવારે સવારે 6.30 કલાકે ઉપરોકત રૂટ પર જ સ્વદેશી રન આ તમામ નિયમો સાથે યોજાશે. તેમાં પણ પાંચ વ્યકિતને લકકી ડ્રોના આધારે ભેટ આપવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું યુ.પી.આઈ.થી ભરી શકાશે રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગના ઈ-ચલણ વાહનચાલકો હવે સરળતાથી પોતાના મોબાઈલ ફોનથી યુ.પી.આઈ., ગૂગલ પે, ફોન પે, યોનો એપ જેવી વિવિધ પેમેન્ટ એપ મારફતે ભરી શકશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. એસ.ડી. રાણાએ જણાવ્યું હતુ કે, ગુજરાત પોલીસ વિભાગે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ ભરવા માટે પેમેન્ટ એપમાં ઈ-ચલણ લખી સર્ચ કરવાનું રહેશે. જેમાં નીચે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાતનો ઓપ્શન જોવા મળશે. જે પછી તેમાં પોતાના વાહનનો નંબર દાખલ કરતાં ઈ-ચલણ જોવા મળશે. જેનું પેમેન્ટ સરળતાથી થઈ શકશે. સદર બજારમાં ચિકીના વેપારીઓ પર ફૂડ શાખાના દરોડા : 8 સેમ્પલ લેવાયા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ શિયાળાની ઋતુને ધ્યાને લઇને સદર બજાર અને લાખાજીરાજ ઉદ્યોગનગર સહિતના સ્થળોએ ચેકિંગ કરીને ગોળ અને ખાંડમાંથી બનતી સિંગ દાળિયાની ચિકી સહિત અલગ અલગ ખાદ્ય સામગ્રીના 8 નમુના લેવામાં આવ્યા હતા. જેમાં સદર બજાર મેઇન રોડ પર આવેલા સંગમ વેરાઇટી સ્ટોરમાંથી ગોળ શીંગ ચીકી (લુઝ), શીંગ માવા ચીકી (લુઝ), રોઝ પેટલ- શીંગ ચીકી (લૂઝ) અને દાળિયાની ચીકી (લુઝ)ના નમુના લેવાયા હતા. જ્યારે સદર બજારમાં જ આવેલા ઓમ સિઝન સ્ટોરમાંથી સીંગની ચીકી (લુઝ), તલનું કચરિયું (લુઝ), અને લાખાજીરાજ ઉદ્યોગનગર -6 ચુનારાવાડ ચોકમાં આવેલા ભાવના ફૂડ્ઝમાંથી સિંગની ચિકી, તલની ચિકીના નમુના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રેમ મંદિર તથા કિડની હોસ્પિટલની પાછળના વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 6 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી અને ખાદ્યચીજોના 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેઓને લાયસન્સ બાબતે સુચના આપાઇ હતી તેમાં ચામુંડા મેગી સેન્ટર, બાલાજી છોલે ભટુરે, સ્વાતિ મદ્રાસ કાફે, ક્રિષ્ના સ્નેક્સ, રાધે જ્યુસ સેન્ટર, દીલખુશ પાણીપુરીનો સમાવેશ થાય છે. મનપાની પ્રિમાઈસીસ ઉપરથી કેબલ, બ્રોડબેન્ડ નેટવર્ક સહિતના વાયરો દૂર કરવા તાકીદ રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ પ્રિમાઈસીસ જેવી કે શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ, પોલ, હોર્ડિંગ્સ વગેરે જેવી પ્રિમાઈસીસમાં જે-તે કેબલ નેટવર્ક એજન્સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક એજન્સીને 4 દિવસમાં આ પ્રકારના વાયરો દુર કરવા મહાનગરપાલિકા તાકીદ કરવામાં છે. રોશની શાખાના એન્ક્રોચમેન્ટ ઓફિસર અને એડિશનલ સીટી એન્જિનિયરે જણાવ્યું હતુ, જે-તે એજન્સી દ્વારા આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો મહાનગરપાલિકા દ્વારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જામનગરના નરારા ટાપુ ખાતે 28 મીએ એક દિવસીય મરીન લાઇફ કેમ્પ ચંગ સ્ટુડન્ટ સર્વિસ કલબ રાજકોટ દ્વારા આગામી તા. 28 ડિસેમ્બરને રવિવારના રોજ જામનગર નજીકના નરારા ટાપુ ખાતે એક દિવસીય મરીન લાઇફ કેમ્પનુ આયોજન થયું છે. આ કેમ્પ અખિલ ગુજરાત કક્ષાનો છે.મરીન લાઈફ કેમ્પમા જોડાવવા માંગતા વ્યસનમુક્ત, શિસ્તપ્રેમી અને સુશિક્ષિત મિત્રોએ અરૂણ દવેનો આનંદનગર, ખોડીયાર ચોક, નિલકંઠ સિનેમા પાસે, રાજકોટ - 2 ખાતે સાંજે 6 થી 10મા સંપર્ક કરવો. દબાણ હટાવ શાખાએ 46 રેકડી - કેબિન, પાથરણાંવાળા પાસેથી 2749 કિલો શાકભાજી - ફળો જપ્ત મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 1 થી 15 ડિસેમ્બર દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં પાથરણાં પાથરી શાકભાજી વેંચનારા શખ્સો પાસેથી 2749 કિલો શાકભાજી અને ફળ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે, 46 રેંકડી- કેબીન, 2035 બોર્ડ-બેનર જપ્ત કરાયા હતા અને, રૂ.1,73,355નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.દબાણ હટાવ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ 46 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 741 પરચુરણ ચીજ વસ્તુઓની સાથે 2749 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:10 pm

ઓડિટર્સની નવી પેનલ માટે અરજીઓ આમંત્રિત:31 ડિસેમ્બર 2025 સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં અરજી કરો

બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા વર્ષ 2026 થી 2029 સુધીની સમયમર્યાદા માટે ઓડિટર્સની નવી પેનલ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ પેનલમાં સમાવેશ થવા માટે સી.એ./સી.એ. ફર્મ, સહકાર ખાતાના નિવૃત્ત કર્મચારીઓ/અધિકારીઓ અને સહકાર ખાતા સિવાય જી.ડી.સી.એ. પરીક્ષા પાસ કરેલ વ્યક્તિઓ અરજી કરી શકે છે. અરજી કરનારે નિર્ધારિત ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને તા. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, બનાસકાંઠા ખાતે રૂબરૂ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા બે નકલમાં મોકલવાની રહેશે. અરજી ફોર્મ અને વિગતવાર માહિતી માટે કચેરીના નોટિસ બોર્ડનો અથવા કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 9:00 pm

વડોદરામાં પરિણીતા પર અત્યાચાર:તું અપશુકનિયાળ છે, છુટાછેડા આપી દે તેમ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી, શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા સામે પોલીસ ફરિયાદ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી પરીણીતાને તેના પતિએ તું અપશુકનિયાળ છે, તું છુટાછેડા આપી દે, તો બીજા લગ્ન કરુ, તેમ કહી શારીરીક માનસિક ત્રાસ આપી ઘરમાથી કાઢી મુકી હતી. ઉપરાંત સાસુ સસરા તથા નણંદ પણ તુ દહેજમાં કાઇ લાવી નથી તારા પિતા ભિખારી છે તેમ કહી હેરાન કરતા હોય કંટાળી ગયેલી પરીણીતાએ પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે મહિલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી યુવતીએ વર્ષ 2014માં નિશ્ચય ભરતભાઈ રાણા સાથે કોર્ટ મેરેજ બાદ શાસ્ત્રોકત વિધી અનુસાર લગ્ન કર્યા હતા. લગ્નબાદ માતા પિતાએ સોનાના ઘરેણા અને સગા સબંધીએ આપેલી ભેટ સોગાદો લઇ પતિની સાથે ચંદ્રવતી સોસાયટી કારેલીબાગ ખાતે સાસરીમાં સંયુક્ત પરિવારમા રહેવા ગઈ હતી. 5 મહીના પતિ સાથે સારી રીતે રહ્યાં બાદ નણંદ ફેયુરી મિસ્ત્રીના મોબાઈલ ફોનમાં પતિએ અન્ય સ્ત્રી સાથે સોશીયલ મિડીયા દ્વારા કરવામાં આવેલા મેસેજો જોતા તેમને પતિને અન્ય સ્ત્રી સાથે સંબધ છે તેવી જાણ થઈ હતી, પરંતુ ત્યારે પરિણીતાને સાતમો મહીનો ચાલતો હોય પતિ સાથે અન્ય સ્ત્રી સાથેના સંબધ બાબતે કોઈ વાત કરી નહોતી. પતિને એક્ટર બનવુ હોવાથી તેઓને દરેક રીતે સાથે સહકાર આપતી હતી. પિતાએ 2013માં એલઆઈસીના બે લાખ રૂપિયાનો ચેક પતિના જોઈન્ટ ખાતામાં જમા કરાવ્યો હતો. તે પૈસા પતિએ તેમની જાણ બહાર ઉપાડી લીધા હતા. જેથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આ વાત તેમના સાસુ સસરાને થઈ હતી ત્યારે સસરાએ તું ઘરની વહુ છે તો એમા તને શું પુછવાનું તેમ કહી તેમના પતિનો સાથે આપ્યો હતો. વર્ષ 2015માં મહિલાને દિકરીનો જન્મ થયો હતો. દિકરીના જન્મ બાદ પતિ દિકરીની સાર સંભાળ પણ રાખતા ન હતા તેમજ સાસરીયા તું અપશુકનીયાળ છે, તું મારા દિકરાના પૈસા જોઈને આવી છે. તું કોઈ પૈસાદાર કુટુંબમાંથી આવી નથી. પરીણીતાને શારિરીક માનસીક ત્રાસ આપી તારા પિતાએ કઈ મોઘી વસ્તુઓ આપી નથી, તારો બાપ ભિખારી છે તેમ કહી દહેજ માગણી કરી હેરાન કરતા હતા. જેના કારણે પરિણીતા ડીપ્રેશનમાં જતી રહી હતી પરંતુ, સાસરીયાઓએ કોઇ સારવાર કરાવી ન હતી. પતિ પણ તું અપશુકનીયાળ છે, તને છૂટા છેડા આપી દઇશ, મારે તને રાખવી નથી. મારે બીજા લગ્ન કરવા છે. તું તારા માતા પિતાના ઘરે જતી રહે તેમ કહી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારથી પરીણીતા પિયરમાં રહેવા જતી રહી હતી. પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોય પરંતુ તેમા કોઈ સુધારો આવ્યો ન હતો. જેથી પોલીસે પતિ નિશ્ચય ભરત રાણા, સસરા ભરત રમણવાલ રામા સાસુ ભારતીબેન ભરત રાણા નણંદ કેયુરી મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:54 pm

સાયબર ફ્રોડમાં સામેલ જૂનાગઢના કલ્યાણગીરીની ધરપકડ:અંગત અને ગૌસેવાના નામે ચાલતા ટ્રસ્ટના ખાતામાં 40 લાખ ટ્રાન્સફર થયા, તપાસનો રેલો અન્ય ટ્રસ્ટ સુધી પહોંચવાની શક્યતા

ગુજરાત અને દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબરફ્રોડના બનાવમાં વધારો થયો છે. સાયબર ફ્રોડની રકમની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક સમયથી આવા મ્યુલ એકાઉન્ટ પુરા પાડનારાઓ સામે અભિયાન 'ઓપરેશન મ્યુલ હન્ટ' હાથ ધર્યું છે. સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે હવે સાધુવેશમાં ફરતા અને ગૌસેવાના નામે ચાલતા ટ્રસ્ટના નામ સામે આવ્યા છે. જૂનાગઢ પોલીસે કેરાળા ગામમાં ચાલતી ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. કલ્યાણગીરીના પોતાના અને ગૌશાળાના બેંક ખાતામાં દેશમાં કૂલ 13 ફરિયાદો નોંધાઈ છે. આ બંને ખાતામાં સાયબર ફ્રોડના ટ્રાન્સફર થયેલા 40 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કલ્યાણગીરીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ગૌસેવાના નામે ચાલતા ટ્રસ્ટના બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે એક કલ્યાણગીરી જ જાણતા હતા કે અન્ય લોકોને પણ જાણ હતી?, આ રેકેટમાં કલ્યાણગીરી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. આ ટ્રસ્ટની જ્યારે રચના કરવામાં આવી તે સમયના ડોક્યુમેન્ટ પણ ભાસ્કરને મળ્યા છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી' સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાઓને ડામવા ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેરાળા ગામે ગૌશાળાનું સંચાલન કરતા અને ભવનાથ અવધૂત આશ્રમના મહાદેવગીરીના શિષ્ય કલ્યાણગીરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે, કલ્યાણગીરીએ સાયબર ફ્રોડના નાણાં જમા થતા હોવાનું જાણ હોવા છતાં પોતાના અને ગૌસેવા ટ્રસ્ટના કુલ ત્રણ બેંક ખાતાઓને 'મ્યુલ એકાઉન્ટ' (ભાડે આપેલા ખાતા) તરીકે વાપરી કુલ ₹40,76,380 ટ્રાન્સફર કર્યા હતા.આ રકમ દેશના નિર્દોષ નાગરિકો પાસેથી છેતરપિંડીથી પડાવવામાં આવી હતી. અલગ અલગ ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા અને ઉપડી ગયા​દેશના અલગ રાજ્યોમાં ફ્રોડનો કારોબાર કલ્યાણગીરી અને તેની ટોળકી દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. કલ્યાણગીરી બાપુ સામે નોંધાયેલી FIR મુજબ તેમના ખાતાઓમાં દેશના અલગ-અલગ ખૂણેથી છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ભારત સરકારના NCCRP પોર્ટલ દ્વારા મળેલી વિગતો મુજબ બાપુના ત્રણ ખાતાઓની તપાસ કરતા કલ્યાણગીરીની આખી 'ક્રાઈમ કુંડળી' સામે આવી હતી. બાપુના SBI બેંકના વડાલ શાખાના ખાતામાં ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ જૈન સાથે થયેલા 'ડિજિટલ અરેસ્ટ' ફ્રોડના ₹5,00,000 જમા થયા હતા. સાયબર ઠગોએ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને આ રકમ કલ્યાણગીરીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. ​દોલતપરા શાખામાં લાખોના ટ્રાન્ઝેક્શન મળ્યા હોવાની વિગતો પોલીસને IDFC ફર્સ્ટ બેંકના ખાતામાંથી મળી છે. અહીં કુલ 3 મોટી ફરિયાદો નોંધાઈ છે જેમાં કુલ ₹10,56,380 જમા થયા હતા. તમિલનાડુ વેલ્લોરના જસવંત કુમાર જૈન સાથે બ્રાન્ડીવાઈન કંપનીમાં રોકાણની લાલચ આપી ₹1.34 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ઉપરાંત, આગ્રાના રાજેન્દ્ર પ્રસાદ જૈન પાસેથી ફરી એકવાર 'ડિજિટલ અરેસ્ટ'ના નામે કુલ ₹7.88 લાખ પડાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના વિશ્વનાથ પાલ નામના નાગરિક સાથે પણ ઇન્ટરનેટ બેંકિંગ ફ્રોડ કરીને ₹1.34 લાખ આ જ ખાતામાં જમા કરાવ્યા હતા. આ તમામ નાણાં બાપુએ આર્થિક ફાયદા માટે ઉપાડી લીધા હતા. કલ્યાણગીરીના અંગત ખાતા ઉપરાંત ગૌસેવા ટ્રસ્ટના ખાતામાં પણ નાણાં ટ્રાન્સફર થયા​ગૌસેવા ટ્રસ્ટમાં છેતરપિંડીની રકમ ઠાલવી હોવાનું સૌથી ગંભીર બાબત સામે આવી છે. બાલક્રિષ્નાગીરીબાપુ ગૌ સેવા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં થયેલા વ્યવહારોમાં કલ્યાણ ગીરીએ પોતાના અંગત લાભ માટે કે પછી અન્ય કોઈને લાભ અપાવવા આ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે પણ તપાસનો વિષય બન્યો છે,આ ખાતામાં કુલ 5 ફરિયાદો દ્વારા ₹ 25,20,000 મેળવાયા હતા. મહારાષ્ટ્રના મીરા રોડના સંજય સાનવાલ સાથે ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડ કરી ₹7 લાખ જમા કરાવ્યા હતા. દિલ્હીના વિજય સરદાના સાથે શેરબજારમાં રોકાણની લાલચ આપી ₹5.20 લાખની છેતરપિંડી કરાઈ હતી. કર્ણાટક અને તમિલનાડુના અન્ય ભોગ બનનાર પાસેથી પણ ટ્રેડિંગના નામે લાખો રૂપિયા આ ટ્રસ્ટના ખાતામાં મંગાવાયા હતા. ​સુનિયોજિત મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું તપાસમાં ફલિત થયું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ એક અત્યંત સુનિયોજિત નેટવર્ક છે. સાયબર ઠગો દેશભરના ભોગ બનનારને ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ કે રોકાણના નામે લલચાવીને રકમ બાપુના બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. કલ્યાણગીરી બાપુ અથવા તેમની સાથે સંકળાયેલા સાગરિતો આ નાણાં ચેક દ્વારા અથવા ઓનલાઇન ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખતા હતા. બાપુ પોતે આ નાણાં ફ્રોડના છે તે જાણતા હોવા છતાં, માત્ર કમિશન અથવા આર્થિક ફાયદા માટે પોતાના અને ટ્રસ્ટના ખાતા ભાડે આપ્યા જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કલ્યાણગીરીના કારનામાની અન્ય કોઈને જાણ હતી કે નહીં?જુનાગઢના ભવનાથમાં આવેલા પ્રખ્યાત અવધૂત આશ્રમના જ એક ભાગ તરીકે કેરાળા ગામ પાસે ગૌશાળા કાર્યરત છે, જેના સંચાલક તરીકે કલ્યાણગીરી કામ કરતા હતા. અવધૂત આશ્રમના મુખ્ય મહંત મહાદેવગીરી એ કલ્યાણગીરીના ગુરુ છે. કલ્યાણગીરીના આધાર કાર્ડ અને પાનકાર્ડમાં પણ પિતાના નામ તરીકે 'મહાદેવગીરી' અને સરનામામાં 'શ્રીધામ સન્યાસ આશ્રમ, કેરાળા'નો સ્પષ્ટ ઉલ્લેખ છે. ગુરુના નામે શિષ્યએ કરેલા આ કાળા કારનામાથી આશ્રમની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસ હવે એ પણ તપાસશે કે શું આ આશ્રમ કે ગૌશાળાના અન્ય હોદ્દેદારોને પણ આ છેતરપિંડીની જાણ હતી કે નહીં ? શું કહી રહી છે પોલીસ?​જુનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડના નાણાં જે ખાતામાં સૌપ્રથમ ટ્રાન્સફર થાય છે તેને ટેકનિકલ ભાષામાં 'L1' અથવા 'મ્યુલ એકાઉન્ટ' કહેવામાં આવે છે. કલ્યાણગીરીના ખાતામાં આવી કુલ 9 અલગ-અલગ ફરિયાદોના ₹40.76 લાખ ટ્રાન્સફર થયા છે. સાયબર ઠગો આવા બેંક એકાઉન્ટ્સ ભાડે રાખવા માટે ખાતાધારકોને ₹5,000 થી ₹25,000 સુધીનું કમિશન ચૂકવતા હોય છે. જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કલ્યાણગીરીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા​હજુ મોટા માથાઓના નામ ખુલે તેવી પ્રબળ શક્યતા દેખાય રહી છે. હાલમાં પોલીસે કલ્યાણગીરી બાપુના તમામ બેંક ટ્રાન્ઝેક્શન, ઈ-મેઈલ આઈડી (kalyangiri56572@gmail.com) અને તેની સાથે લિંક થયેલા મોબાઈલ નંબરોની ફોરેન્સિક તપાસ તેજ કરી છે. પોલીસને આશંકા છે કે, આ નેટવર્કમાં માત્ર કલ્યાણગીરી જ નહીં, પણ અન્ય કેટલાક સાધુ-સંતો કે સ્થાનિક સફેદપોશ લોકો પણ સામેલ હોઈ શકે છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ થયેલી આ કાર્યવાહીથી સાયબર ઠગોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આ આંતરરાજ્ય છેતરપિંડીના તાર ક્યાં સુધી અને કોની સાથે જોડાયેલા છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે. જે ટ્રસ્ટના ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા તેમાં ટ્રસ્ટી તરીકે કોણ કોણ?જે બાલકૃષ્ણગીરી બાપુ ગૌસેવા ટ્રસ્ટનું નામ સાયબર ફ્રોડમાં સામે આવ્યું છે તેની સ્થાપના સમયનું ટ્રસ્ટડીડ ભાસ્કરને મળ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપનામાં સેટેલર તરીકે સરસ્વતી ગીરી માતાજી અને ટ્રસ્ટીઓ તરીકે સરસ્વતી ગીરી, મહાદેવગીરી (ખજાનચી) અને મૂળુભાઈ ચાવડાનો (ટ્રસ્ટી) સમાવેશ થાય છે. દસ્તાવેજો તપાસતા માલૂમ પડ્યું છે કે, આરોપી કલ્યાણગીરીના પર્સનલ ઈ-મેલ આઈડી અને પાન કાર્ડ નંબરનો ઉપયોગ આ ટ્રસ્ટના સત્તાવાર કાગળોમાં ઉલ્લેખ થયેલો છે. આટલું જ નહીં ગૌસેવા માટે બનેલા આ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2022માં આવકવેરામાં દાન મુક્તિ (10AC) મેળવવા જે પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરાયો હતો, તેમાં ₹18 કરોડના ખર્ચે હાઈટેક હોસ્પિટલ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમાચાર પણ વાંચોઃજૂનાગઢના મહંતનો સાગરિતો સાથે મળી અડધી રાત્રે છેતરપિંડીનો ખેલ કલ્યાણગીરીની SOGએ ત્રણ દિવરસ પૂછપરછ કરતા અડધી રાત્રે સાગરિતો મળવા માટે આશ્રમ પહોંચ્યા હતા. મહંત કલ્યાણગીરી અને સાગરિતો વચ્ચે રાત્રે થયેલી આ વાતચીતનો વીડિયો ભાસ્કરને પણ મળ્યો છે. જેમાં તેમણે સાયબર ફ્રોડ માટે બેંક કીટ આપી હોવાનું સ્વીકાર્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:47 pm

ગાંધીનગર જિલ્લામાં લિંગ પરીક્ષણ રોકવા તંત્ર સજ્જ:નિયમ વિરૂદ્ધ ગર્ભ પરીક્ષણ કરતી હોસ્પિટલનું સોનોગ્રાફિ મશીન સીલ કરાશે, બે સંસ્થાઓને નોટિસ

ગાંધીનગર જિલ્લામાં જન્મ સમયે જાતિ પ્રમાણ સુધારવા અને પીસીપીએનડીટી એક્ટના કડક અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય કમિટીએ કમર કસી છે. તાજેતરમાં જિલ્લા પંચાયત ખાતે મળેલી એડવાઈઝરી કમિટીની બેઠકમાં શિશુ લિંગ પરીક્ષણ જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં નિયમ વિરુદ્ધ ગર્ભ પરીક્ષણ કરતી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવાનો પણ કરી દેવાનું નક્કી કરાયું છે. રજીસ્ટર્ડ હોસ્પિટલ અને ડિલર કંપનીને નોટિસ આપવાની કાર્યવાહીગાંધીનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે જિલ્લા આરોગ્ય કમિટીના અધ્યક્ષ મિનાક્ષીબેન હીરાણીની અધ્યક્ષતામાં પીસીપીએનડીટી એડવાઈઝરી કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અશોક વૈષ્ણવ દ્વારા રજૂ કરાયેલ અહેવાલ બાદ કાયદાના ભંગ બદલ એક રજીસ્ટર્ડ હોસ્પિટલ અને એક ડિલર કંપની સામે નોટિસ આપવાની કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. સોનોગ્રાફી મશીન સીલ કરવાનો આદેશઆ ઉપરાંત જે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રિન્યુઅલ એક્સપાયર થઈ ગયું હોવા છતાં કાર્યરત હતી તેનું સોનોગ્રાફી મશીન સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં જે ગામોમાં કન્યા જન્મનું પ્રમાણ ઓછું છે ત્યાં જનજાગૃતિ લાવવા માટે આઈ.ઈ.સી પ્રવૃત્તિઓ તેજ કરવા કમિટીએ સૂચના પણ અપાઈ છે. હોસ્પિટલોની નિયમિત ચકાસણી કરાશેજે અન્વયે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતી તમામ નોંધાયેલી હોસ્પિટલોની પણ નિયમિત ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે હવેથી ડોક્ટરોએ ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ-એફ ભરતી વખતે લાભાર્થીના આભા આઈડી અને ટેકો આઈડીની એન્ટ્રી ફરજિયાત કરવી પડશે. નવી 4 હોસ્પિટલોને રજીસ્ટ્રેશનની મંજૂરી અપાઈઆ સાથે જ જિલ્લામાં નવી 4 હોસ્પિટલોને રજીસ્ટ્રેશન માટે મંજૂરી આપવામાં આવી છે અને 2 જુની હોસ્પિટલોના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ગૌતમ નાયક સહિત એડવાઈઝરી કમિટીના સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:39 pm

ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મોત:જનતાનગર નજીક મહેસાણા-દિલ્હી રેલ લાઇન ઉપરનો બનાવ, પોલીસે વાલી વારસાની શોધખોળ શરૂ કરી

મહેસાણા-દિલ્હી રેલવે લાઇન પર જનતા નગર નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ટ્રેનની અડફેટે એક અજાણી મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. અજાણી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યોમળતી માહિતી અનુસાર, આજરોજ અમદાવાદ-મહેસાણા રેલવે લાઇન ઉપર કોઈ ટ્રેનની અડફેટે એક આશરે 25 વર્ષની અજાણી મહિલાનું મોત થયું હતું. મહિલાનું મૃત્યુ ટ્રેન અકસ્માતને કારણે થયું હોવાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેલવે પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને અજાણી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતદેહની ઓળખ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈહાલ પોલીસે મહિલાની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. મહેસાણા રેલવે પોલીસે આ મહિલાની ઓળખ અંગે કોઈ પણ હકીકત જાણતા લોકોને આગળ આવવા અને પોલીસનો સંપર્ક 6359627778 કરવા વિનંતી કરી છે. પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:39 pm

તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવક લોહીલુહાણ હાલતમાં ભાગ્યો:વડોદરામાં પત્નીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર યુવકને પતિ સહિતની ત્રિપુટીએ માર માર્યો

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા યુવકે પરણિત યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પત્નીએ તેના પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે કહેતા પતિએ યુવકને મળવા માટે બોલાવ્યો હતો અને ઢોર માર્યા બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેથી યુવક લોહીલુહાણ હાલતમાં ભાગ્યો હતો. યુવકે 3 હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવકે તેની સાથે અભ્યાસ કરતી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતીવડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ધ્રુવેશભાઈ રાજેન્દ્રભાઈ પંચાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું આઈટીએમ એસએલએસ જરોદ ખાતે અભ્યાસ કરુ છું. આશરે ચાર મહિના પહેલા મારી સાથે અભ્યાસ કરતી યુવતીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તેઓએ મારી રિક્વેસ્ટને સ્વીકારી હતી. ત્યારબાદ તું મને મેસેજ કેમ કરે છે અને હવેથી મેસેજ કરતો નહીં તેવું મેસેજમાં જણાવ્યું હતું. યુવતીના પતિએ મને ફોન કરી મળવા બોલાવ્યોઆ મેસેજની વાત યુવતીએ તેના પતિ પ્રતિક રબારીને કરી દીધી હતી. ત્યારે પ્રતીક રબારીએ પોતાની સોશિયલ મીડિયા આઈડી પરથી મેસેજ કરી મારા મોબાઈલ નંબરની માગણી કરી હતી. ત્યારે મેં મારો મોબાઈલ નંબર આપ્યો ન હતો અને મેં જે તે સમયે યુવતી અને તેના પતિની આઈડી બ્લોક કરી દીધી હતી, પરંતુ ગત 24 ડિસેમ્બરના આશરે 6.30 વાગ્યાની આસપાસ યુવતીના પતિએ મને ફોન કરીને મારે તેને મળવું છે, તું ક્યાં મળીશ ત્યારે મે તેને હું અત્યારે લગ્ન પ્રસંગમાં છું. આવતીકાલે મળીશ તેમ જણાવ્યું હતું. યુવક તેના બે મિત્રો સાથે આરોપીને મળવા પહોંચ્યોઆ દરમિયાન 15 ડિસેમ્બરના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ યુવતીના પતિએ મારા મોબાઈલ પર મેસેજ કરી તારે મળવું પડશે નહીં તો આવતીકાલે કોલેજમાં આવીને તને માર મારીશ તેમ જણાવ્યું હતું. ત્યારે મેં 15 ડિસેમ્બરના યુવતીના પતિને ફોન કરી અને મારે ક્યાં મળવા આવવાનું છે તેમ પૂછતા તેણે ગોરવાના દશામા ચાર રસ્તા ખાતે ઉભો છું અને પછી હું મારા મિત્ર વૈભવ શિવમ અને નીતિનની સાથે માનવ હોસ્પિટલ પાસે જઈ ઉભા હતા. ત્રણ જણાએ ભેગા મળીને યુવકને માર માર્યો10થી 15 મિનિટ યુવતીના પતિની રાહ જોઈ પણ તે આવ્યા ન હતા. મેં તેને સામેથી ફોન કરી આવો છો? એવું પૂછયું હતું, ત્યારે તેણે મને 10 મિનિટમાં આવું છું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બે શખસો એક્ટિવા લઈ ત્યાં આવ્યાં હતાં. ત્યારે પ્રતિક રબારી મારી સાથે વાતચીત કરવા લાગ્યો હતો અને ત્યારે એક અન્ય શખસ પણ આવી ગયો હતો. ત્રણ જણાએ ભેગા મળીને મને માર માર્યો હતો. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયોત્યારબાદ યુવતીના પતિએ તેના હાથમાં ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો. જેથી હું લોહીલુહાણ થઇ જતા હું તેઓના વધુ મારથી બચવા માટે મારા ઘર તરફ ભાગ્યો હતો. હુમલાખોરો મારી પાછળ ભાગ્યા હતાં, પરંતુ હું મારા ઘરે પહોંચી જતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતાં. મને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:37 pm

21 વર્ષીય યુવકનું 12 વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય:ઘરની બહાર રમતા બાળકને છરી બતાવી અવાવરુ જગ્યાએ લઈ ગયો, બાળક ગુમસુમ રહેતા ભાંડો ફુટયો, યુવકની ધરપકડ

માધવપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 વર્ષના બાળક સાથે 21 વર્ષના યુવકે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. માધવપુરા વિસ્તારમાં બાળક પોતાની ઘરની બહાર અન્ય મિત્રો સાથે રમી રહ્યો હતો. તે જ વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવકે બાળકને છરી બતાવીને ડરાવ્યો હતો. છરી જોઈને બાળક ડરી જતાં તે બાળકને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. અવાવરુ જગ્યા પર લઈ જઈને યુવકે બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જે બાદ યુવક બાળકને તેના ઘરે પણ ઉતારી ગયો હતો. પરત આવ્યા બાદ બાળક ગુમસુમ રહેતા ભાંડો ફુટયો હતો. જેથી બાળકના પિતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. માધવપુરા પોલીસે 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. સગીર ઘરની બહાર રમતો હતો ત્યારે યુવક ત્યાં આવ્યોમાધવપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. 10 ડિસેમ્બરના દિવસે 12 વર્ષનો બાળક તેના બીજા મિત્રો સાથે પોતાના ઘરની બહાર રમતો હતો. બાળક ઘરની બહાર જ રમતો હોવાથી પરિવાર ચિંતા મુક્ત હતો, પરંતુ તેમણે ખબર નહતી થોડા કલાકોમાં તેમની ચિંતામાં વધારો થવાનો છે. તે દરમિયાન એક 21 વર્ષીય યુવક કે જેનું નામ બાદલ દંતાણીયા છે, તે ત્યાં આવે છે. છરી બતાવી સગીરને પોતાની બાઈક પર બેસાડી લઈ ગયો21 વર્ષીય બાદલ દંતાણીયાએ ત્યાં આવીને 12 વર્ષીય બાળકને છરી બતાવીને ડરાવ્યો હતો. 12 વર્ષનો બાળક હોવાથી છરી જોઈને ડરી ગયો હતો. જેથી તેનો ફાયદો ઉઠાવી તેને ડરાવીને બાદલે તેને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું. છરી જોઈને ડરી ગયેલો બાળક કઈ પણ બોલ્યા વગર તેની સાથે જવા માટે તૈયાર થઈ ગયો હતો. જે બાદ યુવક તેને એક અવાવરુ જગ્યા પર લઈને બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જે બાદ બાળકને તેના ઘરે પણ ઉતારી ગયો હતો. પોલીસે 21 વર્ષીય યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીઘરે આવ્યા બાળક ગુમસુમ રહેતો હતો. જેથી માતા પિતાને ચિંતા તેને બાળકની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બાળકે જણાવી હતી. સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનું સામે આવતા બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માધવપુરા પોલીસે 21 વર્ષીય યુવક બાદલ દંતાણીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:34 pm

પોરબંદરમાં 18,756 મતદારો મૃત્યુ પામ્યા:34,986 લોકોએ કાયમી સ્થળાંતર કર્યું, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસ.આઈ.આર.) અંતર્ગત 18,756 મતદારોનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, 34,986 લોકોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું હોવાનું પણ નોંધાયું છે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 27 ઓક્ટોબર, 2025ના રોજ આ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ લાયક મતદાર છૂટી ન જાય અને કોઈ ગેરલાયક વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય. પોરબંદર જિલ્લામાં કુલ 5,01,743 મતદારો નોંધાયેલા છે. આમાંથી 86.68 ટકા એટલે કે 4,34,924 મતદારોનું ઈલેક્ટોરલ ફોર્મ (ઈ.એફ.) ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જ્યારે 5.61 ટકા એટલે કે 28,133 મતદારોનું નો-મેપિંગ હોવાનું જાણવા મળ્યું છે. એસ.આઈ.આર. અભિયાન દરમિયાન 9,741 મતદારો ગેરહાજર હોવાનું પણ નોંધાયું છે. આ સમગ્ર કામગીરી 483 બૂથ લેવલ ઓફિસરો (બી.એલ.ઓ.) દ્વારા સઘન રીતે હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસ.આઈ.આર. અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે, તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:28 pm

બોડકદેવની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે લૂંટ:બૂકાનીધારી શખસ તીક્ષ્ણ હથિયારથી ધમકાવી 2 લાખ 20 હજારની લૂંટ કરી નાસી છૂટ્યો, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ

અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરી એકવાર ઘટના સામે આવી છે. વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હોવાના પોલીસના દાવા છતાં ચોર અને લૂંટારાઓ બેફામ બન્યા હોવાનું લોકો કહી રહ્યા છે. રાજપથ રંગોલી રોડ પર આવેલી એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી. આ રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે કામ કરતા મુકેશભાઈ ઠાકુર, જે મૂળ ઝારખંડના રહેવાસી છે, તેઓ કામ પૂરૂં કરીને રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે ગયા હતા. તે દરમિયાન અંદર સફાઈ કામદારો કામ કરી રહ્યા હતા. બૂકાનીધારી શખસે તીક્ષ્ણ હથિયારથી ધમકાવી ચાવી માગીમોડી રાત્રે એક બુકાનીધારી શખ્સ રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો. તેણે હાજર કર્મચારીઓને છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ધમકાવ્યા અને ચાવી માગી હતી. બાદમાં ડ્રોઅરમાંથી ત્રણ દિવસની કમાણીના અંદાજે 2 લાખ 20 હજાર રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. લૂંટ કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બોડકદેવમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા પર ગંભીર સવાલઆ ઘટનાના સમયે આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર હતી, છતાં પોલીસનું કોઈ પેટ્રોલિંગ નજરે પડ્યું ન હતું. જેના કારણે આરોપી સહેલાઈથી ભાગી જવામાં સફળ રહ્યો. બાદમાં બોડકદેવ પોલીસને જાણ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે લૂંટ કરનાર શખ્સ મનોજ હરિલાલ હોવાનું જણાયું છે, જે અગાઉ આ જ રેસ્ટોરન્ટમાં લગભગ બે વર્ષ સુધી કામ કરી ચૂક્યો હતો. હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ ન થતાં ફરી એકવાર બોડકદેવ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:26 pm

ખેતરમાં કરંટ લાગતા યુવાનનું મોત:ખેડૂત, અન્ય એક સામે બાકોર પોલીસમાં ફરિયાદ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લાડણના મુવાડા ગામમાં ખેતરમાં લગાવેલા વીજ કરંટવાળા તારના સંપર્કમાં આવતા એક યુવાનનું મોત થયું છે. આ ઘટના 14 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. મૃતક યુવાન રાયસીંગભાઈ વાલાભાઈ ડામોર (ઉ.વ. 29) હોવાનું જાણવા મળ્યું છે. બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાયસીંગભાઈ ૧૪ ડિસેમ્બરની સાંજે ગામના આશિષભાઈ પટેલના ઘરે ગયા બાદ પરત ફર્યા ન હતા. બીજા દિવસે સવારે ખેમાભાઈ ભુલાભાઈ પટેલના ખેતરમાં ઘઉંના વાવેતર વચ્ચે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં તેમના પગના ભાગે લોખંડના તારના સંપર્કથી ઇલેક્ટ્રીક કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. ખેતર માલિક ખેમાભાઈ પટેલે જંગલી પશુઓ, ખાસ કરીને ભૂંડ અને રોઝના ભેલાણથી પાકને બચાવવા માટે ખેતર ફરતે લોખંડના તાર બાંધી રાત્રિના સમયે તેમાં વીજ કરંટ છોડાવ્યો હતો. આ કામ લાલાભાઈ શનાભાઈ ડામોર દ્વારા કરવામાં આવતું હતું. રાત્રિના અંધારામાં ખેતરમાંથી પસાર થતી વખતે રાયસીંગભાઈ કરંટવાળા તારના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે તેમનું મોત થયું હોવાનું જણાયું છે. મૃતકના ભાઈએ આ સમગ્ર ઘટનામાં ખેતર માલિક ખેમાભાઈ પટેલ અને વીજ કરંટ લગાવનાર લાલાભાઈ શનાભાઈ ડામોર સામે બેદરકારી દાખવવા બદલ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:26 pm

લોઢણના ગ્રામજનોએ ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ કરી:નાની રાસલી સીમમાંથી બે મશીન જપ્ત, ખાણ ખનીજને સોંપાયા

છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનનનો વ્યાપક કારોબાર ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ઝડપી પાડવામાં આવી રહી છે. આજે પાવી જેતપુર તાલુકાના લોઢણ ગામના ગ્રામજનોએ નાની રાસલી ગામની સીમમાં ભારજ નદીમાંથી ચાલતા ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગ્રામજનોએ ગેરકાયદે ખનન બંધ કરાવીને ઘટનાસ્થળેથી બે મશીન જપ્ત કર્યા હતા. ત્યારબાદ, તેમણે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી અને વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા બંને મશીનોને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લામાં ઓરસંગ અને ભારજ નદીઓમાં સફેદ રેતીનો કાળો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. રેતી માફિયાઓ માટે આ નદીઓ જાણે સ્વર્ગ સમાન બની ગઈ છે. સ્થાનિક ગ્રામજનો લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન ખૂબ જ વ્યાપક બન્યું છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ મોટાભાગે ગ્રામજનોની રજૂઆત અથવા જનતા રેડ બાદ જ કાર્યવાહી કરતું હોવાનું જણાઈ રહ્યું છે. આનાથી વિભાગની કાર્યપદ્ધતિ પર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:23 pm

હિંમતનગર નજીક 4.50 લાખના દારૂ સાથે બે ઝડપાયા:ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી હેરાફેરી; ચાર સામે ગુનો નોંધાયો

હિંમતનગરના રણાસણ ત્રણ રસ્તા નજીક ગાંભોઈ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખોટી નંબર પ્લેટવાળી વેગનઆર કારમાંથી રૂ. 4.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરાર છે. પોલીસે કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી રૂ. 8.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રણાસણ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન શામળાજી તરફથી આવતી એક સફેદ કલરની વેગનઆર કાર શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 1047 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 4,50,110 થાય છે. પોલીસે બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 6,000) અને વેગનઆર કાર (કિંમત રૂ. 4,00,000) સહિત કુલ રૂ. 8,56,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના પાલ દેવલ (ડામોર ફળો) ગામના ભૈરા ધનેશ્વર લક્ષ્મણ ડામોર (ઉં.વ. 32) અને મુકેશ કુરીચંન્દ્ર ગોમાજી ભીલ (ઉં.વ. 26) નો સમાવેશ થાય છે. આ બંનેએ ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરી હતી. આ ગુનામાં ડુંગરપુરનો તનિષ્ક (પૂરું નામઠામ અજાણ) અને હરસોલ, તા. તલોદનો બાપુ (પૂરું નામઠામ અજાણ) નામના બે ઇસમો ફરાર છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ અને ફરાર આરોપીઓ સહિત કુલ ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:19 pm

માથાસુલિયા નજીકથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ચાલક સહિત ચાર સામે ફરિયાદ, 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માથાસુલિયા નજીકથી ગાંભોઈ પોલીસે એક કારમાંથી રૂ. 2.11 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો અને ફરાર ત્રણ સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, માથાસુલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન શામળાજી તરફથી આવતી એક સફેદ સેલેરિયો ગાડી પોલીસે જોઈને એકદમ પાછી વાળી દેતા શંકા ગઈ હતી. પોલીસે તાત્કાલિક પીછો કરીને ગાડીને રોકી હતી. ગાડીના ચાલક રાજેન્દ્રસિંગ પ્રેમસિંગ ભીમસિંગ ચૌહાણ (ઉં.વ. 22, રહે. પીપરોલી, પોસ્ટ નુવડા, તા. માવલી, જિ. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયર ટીન નંગ-960, જેની કિંમત રૂ. 2,11,200 છે, તે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 2,000નો એક મોબાઈલ ફોન અને રૂ. 4,00,000ની સેલેરિયો ગાડી મળીને કુલ રૂ. 6,13,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા ચાલક રાજેન્દ્રસિંગ ચૌહાણ અને ફરાર ત્રણ આરોપીઓ - અજીત મીણા, પ્રભુદાસ મીણા (બંને રહે. વિછીંવાડા, જિ. ઉદયપુર) અને નડિયાદ ખાતે મુદ્દામાલ લેવા આવનાર અજાણ્યા ઈસમ સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:17 pm

અર્ટીકાની જીદ કરતાં ભાઈને સગા ભાઈએ જ પતાવી દીધો:સુરતનું કહી વડોદરા લઈ ગયો, મર્ડર કર્યા બાદ આખી રાત લાશ અલ્ટોમાં રાખી; પછી પેટ્રોલ છાંટી આગ ચાંપી

દાહોદ જિલ્લામાં 4 દિવસ પહેલા સળગેલી હાલતમાં એક લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો સાથે મળી ગળું દબાવી પતાવી દીધો હતો. જે બાદ લાશને આખી રાત સુધી અલ્ટો ગાડીમાં રાખી હતી, પછી બીજા દિવસે પેટ્રોલ છાંટીને લાશને સળગાવી નાખી હતી. જે મામલે પોલીસે સગાભાઈ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે આવો સમ્રગ ઘટનાને વિસ્તારથી જોઈએ.. સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશન નજીક સળગાવેલી હાલતમાં મળેલી લાશની ઓળખ સ્થાપિત કરીને દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. 12 ડિસેમ્બરે રંગલી ફળિયા બસ સ્ટેશન પાછળ એક લાશ મળીDYSP ડી.આર.પટેલે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. DYSPએ જણાવ્યું કે, તારીખ 12 ડિસેમ્બર, 2025ના રોજ સાંજના સમયે સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશનના પાછળના ભાગે અજાણ્યા ઈસમની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. લાશની ઓળખ કરવી એ પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો. પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યોવધુમાં જણાવ્યું કે, આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી., સંજેલી પોલીસ, લીમડી પોલીસ, ઝાલોદ પોલીસ, ફતેપુરા પોલીસ, અને ચાકલીયા પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને તલસ્પર્શી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. મૃતકની ઓળખ કેવી રીતે થઈ?સઘન તપાસ દરમિયાન, મરણ જનાર વ્યક્તિની ઓળખ તેના હાથમાં પહેરેલ 'શ્રી શ્યામ' લખેલા કડા અને હાથમાં રહેલી ઘડિયાળના આધારે થઈ હતી. મૃતક વ્યક્તિ ઝાલોદના કારઠ મુકામનો રોયલ લબાના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં સગોભાઈ અક્ષય ભાંગી પડ્યોમરણ જનારની ઓળખ થતાં પોલીસે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેના સગા ભાઈ અક્ષય લબાનાની હલચલમાં શંકા જતા અક્ષયની વધુ પૂછપરછ કરી જેમાં શરૂઆતી સમયે પૂછપરછ દરમિયાન અલગ અલગ વાતો કરી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા અક્ષય ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી. અર્ટિકા ગાડી લાવવા બાબતે સતત ઝઘડો કરતો રહેતોમરણ જનાર રોયલ લબાના જે મોજ શોખ કરનાર વ્યક્તિ હતો અને અવારનવાર ઘરમાં કંકાશ કરી ઝગડો તકરાર કરતો હતો. અમુક વાર ચોરી કરી પરિવારને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને હાલમાં થોડા દિવસથી મરણ જનાર અર્ટિકા ગાડી લાવવાની જીદ કરી પોતાના વડીલો પાર્જીત કારઠ ગામનું ઘર વેચાણ કરવા માટે મજબૂર કરતો હતો. સગા નાના ભાઈના ઝગડા કંકાશથી કંટાળી તેનાથી છુટકારો મેળવવા અને તેનું કાળસ કાઢી નાખવાના ઈરાદેથી પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ અને અન્ય એક સાગરિત સાથે તેને મોતને ઘાટ ઉતારવા ષડયંત્ર બનાવ્યું હતું. કેવી રીતે ગુનાને અંજામ આપ્યો?આરોપી અક્ષય મૃતક રોયલ લબાનાને અર્ટિગા ગાડી લેવાના બહાને સુરત લઈ જવાનું કહીને અલ્ટો ગાડીમાં બેસાડી વડોદરા સુધી લઈ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે, દાહોદથી કરંબા તરફના રસ્તે, જ્યારે રોયલ લબાના ઊંઘી ગયો હતો, ત્યારે ત્રણેય આરોપીઓએ ભેગા મળીને તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ લાશને તેમણે એક આખો દિવસ અલ્ટો ગાડીની ડિક્કીમાં છુપાવી રાખી હતી. બીજા દિવસે, ગુનાનો કોઈ પુરાવો ન રહે તે હેતુથી, લાશને સંજેલીના હીરોલા ગામે બસ સ્ટેશનના પાછળના ભાગે લઈ જઈ, તેના પર જ્વલનશીલ પ્રવાહી (પેટ્રોલ/ડીઝલ) નાખીને સળગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે, મૃતક રોયલ લબાના સ્વચ્છંદી જીવનશૈલી જીવતો હતો અને તે પોલીસના ચોપડે પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસે બે આરોપીને ઝડપી લીધાદાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ પુરાવાઓ અને હ્યુમન સોર્સના માધ્યમથી આ વણઓળખાયેલ મર્ડર ગુનાને ડિટેક્ટ કરીને મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:16 pm

રૂમ પાર્ટનરે લટકતી હાલતમાં જોઈ આક્રંદ મચાવ્યો:રાજકોટમાં નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં ગોવિંદ રત્ન ગ્રીન સીટી 4માં સહેલીઓ સાથે રૂમ રાખીને રહેતી મુળ ગીર સોમનાથની મિત્તલ મનુભાઈ બામણીયા (ઉ.વ.22) એ ગઇકાલે રાત્રીનાં સમયે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેમનાં રૂમ પાર્ટનર યુવતીએ 108ને જાણ કરી હતી અને 108નાં ઇએમટી રવીભાઈ રાવલે યુવતીને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી ત્યારબાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક મિત્તલ બે બહેન એક ભાઈમાં મોટી હતી અને તેમનાં પિતા માછીમારીનો ધંધો કરતા હતા તેમજ મિત્તલ રાજકોટમાં પુનીતનગર પાસે આવેલી ખાનગી હોસ્પીટલમાં નર્સિંગ તરીકે નોકરી કરતી હતી અને કપડાના શોરૂમમાં કામ કરતી હતી. મિત્તલની સગાઇ જયા નકકી થઇ હતી તે યુવક સાથે ગઇકાલે સાંજે વાત કર્યા બાદ તેમણે મોબાઇલ સ્વીચ ઓફ કરી આ પગલું ભરી લીધુ હતુ અને જયારે તેમની રૂમ પાર્ટનર રુમ પર પહોંચી ત્યારે મિત્તલ લટકતી જોવા મળતા તેણીએ બુમાબુમ કરતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મિત્તલના આપઘાત પાછળનું કારણ જાણવા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો દુષ્કર્મ, ફરજમાં રુકાવટ, રાયોટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ શખ્સ કુખ્યાત સાવન ઉર્ફે લાલીને પાસા હેઠળ વડોદરા જેલ ધકેલવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા મારામારી સહિતના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના અનુસંધાને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવા દ્વારા વારંવાર શરીર સંબંધી ગુના આચરતા શખ્સ સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા (ઉ.વ.31) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્તને પોલીસ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવતા સાવન ઉર્ફે લાલીને વડોદરા જિલ્લા જેલ ખાતે ધકેલી દેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખની છે કે પાસા અટકાયતી સાવન ઉર્ફે લાલી વિરુદ્ધ દુષ્કર્મ, ફરજમાં રૂકાવટ, રાયોટ સહિતની ગંભીર કલમો હેઠળ પાંચ ગુના નોંધાઈ ચૂક્યાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. નવાગામ પાસે બાઈક સ્લીપ થતા કરિયાણું લેવા નીકળેલા યુવકનું મોત મહેશભાઈ રમેશભાઈ મેડા (ઉં.વ.27) શનિવારે સાંજે 7 વાગ્યાં આસપાસ બાઈક પર જતો હતો ત્યારે નવાગામ વિસ્તારમાં બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન આજે તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી જે બાદ કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતકના પરિવારે જણાવ્યું કે, મૃતક કડિયાકામ કરતો હતો તે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની હતો. તે ત્રણ ભાઈમાં નાનો હતો. તેમને સંતાનમાં ચાર પુત્રો છે. બનાવના દિવસે તે નવાગામ ખાતે પોતાના ઘરેથી કરિયાણાનો સામાન લેવા માટે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. બે યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત સુરેશકુમાર કરણરાય ચાવડા (ઉં.વ.19)એ ગત રવિવારે રાત્રે 2 વાગ્યા આસપાસ યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા તબીબે યુવાનને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસ ટીમે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને યુવકના આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં નિલેશભાઈ વસંતભાઈ ચાવડા (ઉં.વ.35) ગઈકાલે સાંજના 4 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. નિલેશભાઈએ માનસિક બીમારીના કારણે પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:14 pm

Editor's View: ટ્રમ્પનાં તિકડમથી યુદ્ધ રોકાશે?:રશિયા-યુક્રેન માટે બર્લિનમાં 28 મુદ્દાની ફૉર્મ્યૂલા, પુતિન-ઝેલેન્સ્કી હાથ મિલાવે તો ભારતને પાંચ ફાયદા

વર્ષ હતું 1990... જ્યારે સોવિયેત યુનિયનના ટુકડા થઈ રહ્યા હતા, ત્યારે પશ્ચિમી જગતે મોસ્કોની આંખમાં આંખ નાખીને એક વચન આપ્યું હતું કે NATO પૂર્વ દિશામાં એક ઈંચ પણ આગળ નહીં વધે. બરાબર 32 વર્ષ પછી 2022માં... યુક્રેનની નાટોમાં જોડાવાની જીદ અને પશ્ચિમના વચન તોડવાના કારણે વિશ્વને સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર ઉભું કરી દીધું. કારણ હતું રશિયા-યુક્રેન યુદ્ધ... અને આજે, બરાબર 35 વર્ષ પછી, ઈતિહાસનું ચક્ર પૂરું થયું છે. જે શરત પર રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું, આજે એ જ શરત પર યુદ્ધ અટકી રહ્યું છે. હાલના અહેવાલો મુજબ યુક્રેન નાટોમાં નથી જોડાઈ રહ્યું, પણ રશિયાએ અડધું યુક્રેન ગળી લીધું છે. લગભગ 5 લાખ સૈનિકોના લોહી અને અંદાજે 524 અબજ ડોલરની રાખ પર લખાયેલી આ બર્લિન સમજૂતી શું ખરેખર શાંતિ છે કે પછી આવનારા કોઈ મોટા તોફાન પહેલાનો વિરામ? આજે આપણે છેલ્લા પોણા ચાર વર્ષથી ચાલતા યુદ્ધને રોકવા માટે ટેબલ પર આવેલી લેટેસ્ટ 28 મુદ્દાની સમજૂતીની વાત કરીશું. નમસ્કાર સૌથી પહેલા, વાત કરીએ કે હાલ રશિયા યુક્રેન યુદ્ધનું અપડેટ શું છે? વોશિંગ્ટન, મોસ્કો અને કિવ વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી 'મેરેથોન શાંતિ બેઠકો' બાદ 'બર્લિન શાંતિ સમજૂતી' પર ડિલ થઈ છે. મહોર હજુ નથી લાગી. કહેવાઈ રહ્યું છે કે 90 ટકા શક્યતા છે રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓના દબાણ હેઠળ તૈયાર થયેલો આ પિસ પ્લાન છે. યુક્રેન NATO રાગ ભૂલ્યું આ ડીલની સૌથી મોટી શરત જેનું દુનિયાએ ધ્યાન ખેંચ્યું છે તે એ છે કે યુક્રેન હવે નાટોના સભ્ય બનવાનું સપનું છોડી દેશે. પણ અહીં એક નવી સિસ્ટમ સામે આવી છે. નાટો મેમ્બરશીપના બદલે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો યુક્રેનને નાટોના 'આર્ટિકલ 5' જેવી જ મજબૂત સિક્યોરિટી ગેરંટી આપશે. NATO Vs સુરક્ષા ગેરંટી નાટો મેમ્બરશીપ એટલે ચોક્કસ દેશોની ભાઈબંધી. જેના આર્ટિકલ 5 મુજબ તે દેશોના એક દેશ પર હુમલો એટલે બધા પર હુમલો. સામેની બાજુ જે સુરક્ષાની ગેરંટી યુક્રેનને મળી છે તે મુજબ પશ્ચિમી દેશો લેખિત વચન આપશે કે જો ભવિષ્યમાં રશિયા ફરી હુમલો કરે, તો તેઓ પોતાની સેના અને હથિયારો સાથે યુક્રેનને બચાવવા આવશે. આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીનું હમણાં જ એક નિવેદન આવ્યું છે, જે એમની લાચારી અને વાસ્તવિકતા બંને બતાવે છે. તેમણે કહ્યું કે, અમેરિકા અને યુરોપ તરફથી મળતી આ ગેરંટી જ હવે અમારું રક્ષા કવચ છે. અમારા તરફથી આ એક 'સમાધાન' છે, પણ શાંતિ ેમાટે તે જરૂરી છે. આ ઘટનાને સમજવા થોડી ભૂતકાળની પણ વાત કરીએ. આખરે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? રશિયા-યુક્રેન યુદ્ધ (2022-25) પશ્ચિમની ભવિષ્યવાણી ખોટી પડી પશ્ચિમી મીડિયાએ 2022માં દાવો કર્યો હતો કે રશિયાની અર્થવ્યવસ્થા મહિનાઓમાં તૂટી પડશે. પણ એવું કંઈ ન થયું. 2025 આવતા સુધીમાં રશિયા તૂટ્યું નહીં, પણ યુરોપ થાકી ગયું. 1953માં કોરિયન યુદ્ધ વખતે જે થયું હતું, બરાબર એવી જ પેટર્ન અહીં દેખાય છે. આજે 70 વર્ષ પછી પણ નોર્થ અને સાઉથ કોરિયા ટેકનિકલી યુદ્ધમાં છે. યુક્રેનમાં પણ આ જ ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. હવે આ બધું ક્યાં થઈ રહ્યું છે તે સમજીએ... રશિયાએ યુક્રેનના લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસન જીતી લીધા છે. શરૂઆત 2014માં ક્રિમિયાથી થઈ હતી, જે પહેલાથી રશિયા પાસે હતું. આજે યુક્રેનનો સમગ્ર પૂર્વ ભાગ અને દરિયાકિનારાનો મોટો હિસ્સો રશિયાના કબજામાં છે. આ યુદ્ધમાં યુક્રેને જમીનનો અંદાજે 20% ભાગ ગુમાવી દીધો છે. યુક્રેનના ભાગો રશિયાના તાબામાં હાલની શાંતિ મંત્રણાની વાત કરીએ તો 28 મુદ્દાની ડીલમાં નક્કી થયું છે કે રશિયાના કબજામાં અત્યારે જે વિસ્તારો છે, તે હાલ પુરતા રશિયા પાસે જ રહેશે અને રશિયા અહીં વહીવટ કરશે. યુક્રેન કાગળ પર આ વિસ્તારો પર પોતાનો દાવો ચાલુ રાખશે, પણ જમીન પર કબજો રશિયાનો રહેશે. જેમ સાયપ્રસમાં તુર્કીનો કબજો છે પણ દુનિયા માનતી નથી, છતાં વહીવટ તુર્કીનો ચાલે છે, બિલકુલ તેવી જ સ્થિતિ અહીં થશે. શાંતિ માટે બફર ઝોન બનાવાશે બીજી સૌથી મહત્વની વાત છે કે, યુક્રેનના પૂર્વ ભાગમાં શિયાળાની કડકડતી ઠંડીમાં લાખો સૈનિકો ખાઈઓમાં છે. બંને પક્ષે અંદાજે કૂલ 5 લાખથી વધુ સૈનિકોના જીવ ગયા છે અથવા અપંગ થયા છે. શાંતિ જાળવવા માટે ડિમિલિટરાઈઝ્ડ ઝોન (DMZ) બનાવવામાં આવશે. જે મુજબ બંને દેશની સેનાઓની વચ્ચે લગભગ 1200 કિલોમીટર જેટલો બફર ઝોન રહેશે. અહીં રશિયા કે યુક્રેન પોતાના સૈનિકો તહેનાત નહીં કરી શકે. પણ અહીં ટ્વિસ્ટ છે કે, આ વિસ્તારમાં અમેરિકન સેના નહીં, પણ યુરોપિયન દળો તહેનાત રહેશે. કારણ કે અમેરિકાએ હવે યુરોપની સુરક્ષાનો સીધો ભાર ઉપાડવાની ના પાડી દીધી છે. યુક્રેનને ઊભું કરવા અબજો ડોલરનો ખર્ચો યુદ્ધના શાંતિ કરારનો ત્રીજો મહત્વનો મુદ્દો છે ગણિતનો. યુદ્ધ શરૂ કરવું સહેલું છે અને પૂરું કરવું બહુ મુશ્કેલ છે. યુક્રેન મોટાભાગે બરબાદ થઈ ચૂક્યું છે. રશિયાને પણ નુકસાન ખાસ્સું થયું છે. યુક્રેન તેને ફરીથી બેઠું કરવા માટે, એટલે કે રિકન્સ્ટ્રક્શન માટે, અંદાજે 524 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે. યુક્રેનને ફરીથી બેઠું કરાશે આટલો જંગી ખર્ચ કોણ ભોગવશે? આ માટે પશ્ચિમે એક ચાલ ચાલી છે. તેઓ પશ્ચિમી બેંકોમાં પડેલી રશિયાની 210 અબજ ડોલરની ફ્રોઝન એસેટનો ઉપયોગ વળતર માટે કરવાનું પ્લાન કરી રહ્યા છે. રશિયા માટે આ કડવી ગોળી છે જે તેને ગળી જવા સિવાય અત્યારે કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. આ ડીલ અત્યારે જ કેમ થઈ રહી છે? આ સમજૂતી પાછળ અમેરિકાનો ચાઈના ડર જવાબદાર માનવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી રશિયા યુદ્ધમાં છે, ત્યાં સુધી તે ચીન પર વધુ ને વધુ નિર્ભર બની રહ્યું છે. રશિયા ચીનનું 'જુનિયર પાર્ટનર' બની જાય તે અમેરિકાને પાલવે તેમ નથી. બીટવીન ધ લાઈન્સ આને સમજીએ તો, આ શાંતિ સમજૂતી યુક્રેન માટે ઓછી અને રશિયાને ચીનની ગોદમાંથી બહાર કાઢવા માટેનો અમેરિકા અને પશ્ચિમનો પ્લાન વધુ લાગી રહ્યો છે. ભારત મુલાકાત પહેલા પુતિનનો ધડાકો માત્ર આટલું જ નહીં, પુતિને હમણાં ભારત આવ્યા તે પહેલા ટીવી મીડિયાના ઈન્ટરવ્યૂમાં એક મોટો ધડાકો કર્યો હતો. પુતિને G8 કે G7માં પાછા આવવાના વિચારને જાહેરમાં નકારી કાઢ્યો છે, જે સાબિત કરે છે કે વિશ્વ હવે ગ્લોબલ વિલેજ નથી રહ્યું, પણ બે અલગ-અલગ બ્લોકમાં વહેંચાઈ ગયું છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે હવે એ જાણવું જરૂરી છે કે આ ગ્લોબલ ચેસબોર્ડમાં ભારત ક્યાં છે? એક રીતે જોવા જઈએ તો ભારત એંગલે અહીં વીન વીન સિચ્યુએશન છે. જેના મુખ્ય પાંચ કારણો છે: ભારતને રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમની બાકી રહેલી ડિલિવરી ઝડપી જોઈતી હતી, જે યુદ્ધના કારણે અટકી પડી હતી. હવે રશિયાની મિસાઈલ સિસ્ટમ ફ્રી થતા ડિલિવરી સુપરફાસ્ટ થઈ શકે છે, જેનાથી ભારતની એર ડિફેન્સ વધુ મજબૂત થશે. છેલ્લા બે વર્ષથી યુદ્ધના કારણે સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ છે. હવે રશિયા પરના પ્રતિબંધો હળવા થશે તો રશિયાથી આવતા રફ ડાયમંડ સપ્લાય ફરી શરૂ થઈ શકે છે. ટૂંકમાં હિરાઘસુઓની દિવાળી બગડી હતી પણ હોળી સુધરી શકે છે. રશિયા અને યુક્રેન ખાતરના મોટા ઉત્પાદક છે. યુદ્ધ પૂરું થતા બ્લેક સીનો રસ્તો ખુલશે. રશિયા અને યુક્રેનથી આવતા ખાતર અને ગેસના ભાવ ઘટશે. જેના લીધે યુરિયા અને ડીએપી ભારતીય ખેડૂતોને સસ્તું મળી શકે છે. મુંબઈથી રશિયા જતો INSTC (International North-South Transport Corridor) પ્રોજેક્ટ, જે સુએઝ કેનાલ કરતા 40% ઝડપી છે, તે હવે કાગળ પરથી જમીન પર ઉતરશે. સૌથી મોટી વાત એ છે કે હવે ભારત અને રશિયા વચ્ચે રૂપિયા-રૂબલમાં વેપાર કરવો વધુ સરળ બનશે, જે ડોલર પરની નિર્ભરતા ઘટાડશે. રશિયા-યુક્રેન યુદ્ધના ડરને કારણે સોનામાં જે સેફ હેવન બાઈંગ હતું તે ઘટશે. જેથી સોનાના ભાવમાં આવેલો કૃત્રિમ ઉછાળો શાંત થશે. જે હાલના લગ્નસરા માહોલ વચ્ચે સારા સમાચાર છે. બીજી બાજુ, અનિશ્ચિતતા દૂર થતા ભારતીય શેરબજાર, ખાસ કરીને ઓઈલ અને ડિફેન્સ સેક્ટરમાં નવી ઊંચાઈઓ સર કરી શકે છે. અને છેલ્લે.... આખી દુનિયાની નજર અત્યારે બર્લિનની શાંતિ સમજૂતી અને રશિયા-યુક્રેનના નકશા પર છે, પણ બરાબર આ જ સમયે અમેરિકામાં જેફરી એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલ કેસ નામનો એક “પરમાણુ બોમ્બ” ફૂટ્યો છે, જેની ચર્ચા યુદ્ધના સમાચારોમાં દબાઈ ગઈ છે. હાલ આ કેસના 92 અત્યંત ખાનગી ફોટો વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં 3 ફોટોમાં તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ખુદ છે. એક બાજુ ટ્રંપ નોબલ પીસ પ્રાઈઝના દાવા કરતા હતા અને બીજી બાજુ હાઈ પ્રોફાઈલ સેક્સ સ્કેન્ડલ કેસમાં તેમનું નામ ઉછળે છે. શું આ સંયોગ છે કે બીજું કંઈ કારણ કે ઈતિહાસ સાક્ષી છે... જ્યારે રાજાનું સિંહાસન ઘરે ખતરામાં હોય, ત્યારે તે હંમેશા સરહદ પર વિજય મેળવીને જનતાનું ધ્યાન ભટકાવે છે. તો સવાલ એ છે કે... આ બર્લિન ડીલ યુક્રેનને બચાવવા માટે હતી કે પછી વોશિંગ્ટનમાં કોઈની આબરૂ બચાવવા માટે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 8:02 pm

જાહેર આરોગ્ય સુધારવા AMCનો નિર્ણય:અમદાવાદમાં પ્રથમવાર કોર્પોરેશન સ્વાસ્થ્ય પરિષદનું આયોજન; 36 લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ ખરીદી

રાજ્ય સ્વાસ્થ્ય પરિષદના મંજૂર થયેલ રોડમેપ અનુસાર વર્ષ 2025-26મા પાંચ જિલ્લા/કોર્પોરેશનમા વાર્ષિક સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 16 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટલ સિલ્વર ક્લાઉડ ખાતે પ્રથમ કોર્પોરેશન સ્વાસ્થ્ય પરિષદ આયોજન કરાયું હતું. વિવિધ સહભાગીઓ સાથે સંવાદ કરવામાં આવ્યોકોર્પોરેશન સ્વાસ્થ્ય પરિષદમાં AMCના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્ય સમસ્યા પર પરીચર્ચામાં માતા મૃત્ય દર, ટીબીના દર્દીઓમાં મૃત્યુદર, બીનચેપી રોગનું વધારે પ્રમાણ, વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા એર ક્વોલીટી વિગેરે વીશે પ્રતિનિધિઓ, નીતિ-નિર્માતાઓ, તથા પદાધિકારિઓ, સરકારી અને ખાનગી ક્ષેત્રના સેવા-પ્રદાતાઓ, શિક્ષણ-વિદો, જાહેર આરોગ્યના વિષય નિષ્ણાંતો, સરકારના અધિકારીઓ, તેમજ બિન-સરકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ જેવા વિવિધ સહભાગીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રોના વિષય નિષ્ણાત દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યમાં વધુ સુધારો થાય અને તે માટે વધુમાં વધુ જન ભાગીદારી થકી વિવિધ પગલાઓ લેવા અંગે અભિપ્રાય આપવામાં આવ્યો હતો. 36 લાખના ખર્ચે 1 એમ્બ્યુલન્સ વાન ખરીદવામાં આવીઅમદાવાદ શહેરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને આજુબાજુનાં ઔડાનો વિસ્તાર પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ શહેરમાં સમાવવામાં આવેલા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધી રહ્યો છે. શહેરમાં જાહેર જનતાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ્બ્યુલન્સની સેવા પુરી પાડવામા આવે છે. અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં જરૂરીયાત અન્વયે મેયરના ફાળવેલ વર્ષ 2025-26નાં બજેટમાંથી રૂ. 36 લાખના ખર્ચે 1 એમ્બ્યુલન્સ વાન ખરીદવામાં આવી છે. જે ઉપયોગમાં મુકવામાં આવનાર છે. વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાંકોર્પોરેશન સ્વાસ્થ્ય પરિષદ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુ પટેલ, મેયર પ્રતિભા જૈન સાથે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમીટી ચેરમેન, હોસ્પીટલ કમીટી ચેરમેન, મહીલા અને બાળ વિકાસ કલ્યાણ કમીટી ચેરમેન, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમીટી ચેરમેન, રેવન્યુ કમીટી ચેરમેન, મ્યુનિ. કાઉન્સીલરઓ સહિત ડે.મ્યુનિ. કમિશનર (હેલ્થ) તેમજ AMCના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 7:56 pm

CID ક્રાઈમના લાંચિયા PI-કોન્સ્ટેબલના 19 ડિસેમ્બર સુધીના રિમાન્ડ:30 લાખના લાંચકાંડમાં મોટા ખુલાસાની શક્યતા, ગિફ્ટ સિટી પાસેથી પકડાયેલા કોલ સેન્ટર કૌભાંડના છેડા જોડાયેલા

ગાંધીનગરના સરગાસણ ખાતે ACBએ છટકું ગોઠવી CID ક્રાઈમના સીઆઈ સેલના પીઆઈ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈને 30 લાખની મસમોટી લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા બાદ તેઓને ગાંધીનગરની સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને લાંચિયા પોલીસકર્મીઓના આગામી 19 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેના કારણે હવે આ પ્રકરણમાં અન્ય કેટલા અધિકારીઓની સંડોવણી છે તેના પરથી પડદો ઉચકાઈ શકે છે. 2 કરોડની માંગણી બાદ 30 લાખ નક્કી થયા હતાગુજરાત પોલીસના સૌથી મહત્વના વિભાગ ગણાતા CID ક્રાઈમના અધિકારીઓ જ જ્યારે લાંચ લેતા ઝડપાય ત્યારે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવો સ્વાભાવિક છે. આ સમગ્ર ઘટના પાછળ વર્ષ 2024માં ગિફ્ટ સિટી ક્લબ પાસેથી પકડાયેલા કોલ સેન્ટર કૌભાંડના છેડા જોડાયેલા છે. તે સમયે CID ક્રાઈમે ગોવાના કેસિનોમાં દરોડા પાડી 23 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન અમદાવાદના એક વ્યક્તિનું નામ ખુલતા તેને આરોપી તરીકે ન દર્શાવવા માટે પીઆઈ પી.કે. પટેલે શરૂઆતમાં 2 કરોડની તોતિંગ માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ અંતે 30 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. કોન્સ્ટેબલ નાણા સ્વીકારવા આવ્યો ને ACBએ દબોચ્યોACBના પીઆઈ ડી.એન. પટેલે ગોઠવેલા છટકા મુજબ સરગાસણના સ્વાગત સિટી મોલ પાસે આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જ્યારે કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ પીઆઈ વતી લાંચના નાણાં સ્વીકારવા આવ્યો ત્યારે જ ACBએ તેને દબોચી લીધો હતો. આ સફળ ટ્રેપ બાદ ACBની ટીમે સીધી CID ક્રાઈમની ઓફિસમાં જઈને પીઆઈ પી.કે. પટેલની પણ ધરપકડ કરી હતી. હાલમાં ACB દ્વારા આ કેસમાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં મોટા માથાઓની મુશ્કેલી વધી શકે19 ડિસેમ્બર સુધીના રિમાન્ડ દરમિયાન ACBએ દિશામાં તપાસ કરશે કે આ 30 લાખની રકમ માત્ર આ બંને લાંચિયા કર્મચારીઓ પૂરતી જ મર્યાદિત હતી કે પછી તેમાં કોઈ ઉચ્ચ અધિકારીઓનો પણ હિસ્સો હતો. કોલ સેન્ટરના સંચાલકોને બચાવવા માટે ચાલતા આ વહીવટમાં જે નવા ખુલાસા થશે તેનાથી આગામી દિવસોમાં મોટા માથાઓની મુશ્કેલી વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 7:50 pm

ઉડાન યોજના અંતર્ગત મહેસાણા-મુંબઈ ઍર-સર્વિસ શરૂ કરવા માગ:રાજ્યસભામાં પ્રશ્ન ઉઠતા કેન્દ્ર સરકારે હવાઈ મથક ડેવલપ કરવાની ખાતરી આપી

ઉત્તર ગુજરાતના વડા મથક મહેસાણાથી મુંબઈ વચ્ચે ઉડાન યોજના અંતર્ગત ઍર-સર્વિસ શરૂ કરવા માટે ગઈકાલે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી ના સંસદસભ્ય મયંક નાયકે પ્રશ્ન ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકાર મહેસાણાને હવાઈ મથક બનાવવા ઉત્સુક છે અને અહીંથી વિમાની સેવા શરૂ થાય એ માટે ડેવલપ કરવાની ખાતરી ઉચ્ચારી છે. મયંક નાયકે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ‘ઉત્તર ગુજરાત તેમ જ રાજસ્થાનના છેવાડાના જિલ્લાઓમાંથી લોકોને વિમાન દ્વારા મુંબઈ જવું હોય તો અમદાવાદ જવું પડે છે. મહેસાણામાં ઍર-સ્ટ્રિપ છે તો એને ડેવલપ કરીને ઉડાન યોજના અંતર્ગત મહેસાણા-મુંબઈ વચ્ચે પ્લેન-સર્વિસ શરૂ કરવામાં આવે, કેમ કે ઉત્તર ગુજરાત વેપારી મથક છે. ટૂરિઝમ પણ અહીં ડેવલપ થયું છે. આવનારા દિવસોમાં ટૂરિઝમ ક્ષેત્રમાં આ એક મોટું માધ્યમ બનશે અને ઍર-સર્વિસ શરૂ થવાને કારણે લોકોને રોજગાર પણ મળશે.’ કેન્દ્ર સરકારના મિનિસ્ટર ઑફ સિવિલ એવિએશન કિંજરાપુ રામ મોહન નાયડુએ આ મુદ્દે ખાતરી આપી હતી કે ‘મહેસાણા ઉડાન સ્કીમ અંતર્ગત અવેલેબલ છે અને મહેસાણાને ડેવલપ કરીશું. અમે હવાઈપટ્ટીને ડેવલપ કરવા તૈયાર છીએ.' વધુમાં જણાવ્યું કે, ઉડાન સ્કીમમાં મહેસાણાનો સમાવેશ કરવામાં આવેલો છે. હવાઈ અડ્ડો બનાવવા માટે જમીનની જરૂરત છે. વિમાનને ઉડવા માટે રનવે જરૂરી હોય છે. મહેસાણાને અમે ડેવલપ કરીશું અને આની એક પ્રોસેસ હોય છે જેમાં મહેસાણા મુંબઈ અથવા મહેસાણા દિલ્હી કોઇ એરલાઇન્સ બોલશે કે અમે અહીં સેવા આપીશું જો એરલાઇન્સ આ વિસ્તારમાં સેવા આપવા તૈયાર હશે તો અમે હવાઈ મથકને ડેવલપ કરીશું. હવાઈ મથક બનાવ્યા પહેલાં એક તો એર લાઇન્સ તૈયાર હોવી જોઈએ અને રાજ્ય સરકારે જમીન પણ આપવી જોઈએ જેથી રનવે બનાવી શકાય

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 7:40 pm

બોટાદમાં દોઢ માસના બાળકને માતા સાથે મિલન:181 અભયમ અને 112 જનરક્ષક ટીમે પ્રશંસનીય કામગીરી કરી

બોટાદ જિલ્લાના એક ગામમાં દોઢ માસના બાળકને તેની માતાથી અલગ કરી દેવાતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માગી હતી. મહિલાના લગ્નને આશરે બે વર્ષ થયા છે અને તેમને દોઢ માસનું એક સંતાન છે. પંદર દિવસ પહેલાં સાસરામાં થયેલા ઘરેલુ ઝઘડાને કારણે મહિલા પોતાના પિયરમાં આવી હતી. તેમના પતિ કોઈ જાણ કર્યા વિના બાળકને સાસરામાં લઈ ગયા હતા. સ્તનપાન કરતા બાળકની ચિંતા થતાં મહિલાએ તાત્કાલિક 181 અભયમ વાનની મદદ માગી હતી. માહિતી મળતાં જ 181 અભયમ ટીમના કાઉન્સેલર સોંડાગર જલ્પાબેન, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઝાઝરુકિયા હિરલબેન અને પાયલોટ શ્રી જમોડ હરેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ચૌહાણ અને કિશનભાઈ પણ મહિલાની મદદ માટે હાજર રહ્યા હતા. 181 અને 112 ટીમ દ્વારા બંને પક્ષોને રૂબરૂ મળી કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે સાસુ કામ બાબતે બોલતા રહે છે અને પતિ સાસુના પક્ષે બોલતા હોવાથી વારંવાર ઝઘડા થાય છે. હાલ બાળક દોઢ માસનું અને સ્તનપાન કરતું હોવાથી તેને માતાની ખૂબ જરૂર છે. ટીમે સાસરા પક્ષને સમજાવ્યું કે બાળક પર માતા અને પિતા બંનેનો હક હોય છે, પરંતુ ઘરેલુ ઝઘડાના કારણે દોઢ માસના બાળકને તેની માતાથી અલગ કરવું યોગ્ય નથી. બાળકના હિતને ધ્યાનમાં રાખી તેને હાલ માતા પાસે જ રાખવું જરૂરી છે. આ સમજાવટ બાદ બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 7:27 pm

બ્રેકિંગ: ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરશે તે દંડાશે

Ban on Gogo Paper: હાલ યુવાધનમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ દ્વારા નશાકારક વસ્તુઓ લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતનું ગૃહ વિભાગ હવે સફાળું જાગ્યું છે. કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163(2) અને 163(3) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. સરકારને ધ્યાને આવતા લેવાયો નિર્ણય

ગુજરાત સમાચાર 16 Dec 2025 7:02 pm

SIR પ્રોગ્રેસની સમીક્ષા માટે બેઠક:મહેસાણાના પ્રભારી સચિવે જિલ્લાના તમામ મુખ્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું

મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં SIR પ્રોગ્રેસ, જિલ્લાના અગત્યના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સંકલન સમિતિના પડતર પ્રશ્નો, જિલ્લાના વિવિધ વિકાસ કામો સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા માર્ગદર્શનઆ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવએ SIR સંદર્ભે જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરીને વર્ષ 2002ની યાદી પ્રમાણે મેપિંગ ન થયા હોય તેવા મતદારો પૈકી અમુક મતદારોની ERO દ્વારા રેન્ડમ ચકાસણી કરી જિલ્લાનો એકપણ સાચો મતદાર બાકી ન રહી જાય તેની તકેદારી રાખી કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે ધરોઈ ડેમ પ્રોજેક્ટ, આદરજ મોટી - વિજાપુર રેલવે પ્રોજેક્ટ, વિજાપુર- આંબલીયાસણ રેલવે પ્રોજેક્ટ, થરાદ-અમદાવાદ ભારત માલા પ્રોજેક્ટ, 168G નેશનલ હાઇવે પ્રોજેક્ટ, પાટણ ગોઝારીયા નેશનલ હાઇવે પ્રોજેક્ટ, વિસનગર બાયપાસ રોડ, બેચરાજી બાયપાસ રોડ સહિતના જિલ્લાના અગત્યના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંદર્ભે કામગીરીની સ્થિતિનો ચિતાર મેળવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા સંબંધિતોને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામીત્વ યોજના સંદર્ભે જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી પ્રભારી સચિવએ જિલ્લા સંકલન સમિતિમાં લાંબા સમયથી પડતર રહેલ પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તેમજ જિલ્લા આયોજન મંડળની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં પ્રભારી સચિવે રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને સ્વામીત્વ યોજના સંદર્ભે જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાંઆ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા તેમજ પ્રાંત અધિકારીઓ સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:56 pm

સુરત પોલીસનું ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ:કુખ્યાત શિવા ટકલાનો પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; બુટલેગરને હોસ્પિટલ ખસેડાયો

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે સ્વબચાવમાં ફાયરિંક કર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેવત ગામ પાસે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ શિવાને પકડવા ગઈ હતી ત્યારે તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત શિવાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:54 pm

40 લાખનો વીમો પકવવા કરાયેલી હત્યાનો કેસ:વડોદરામાં બહેનની હત્યાના કેસમાં આરોપી મોટી બહેન અને તેના પ્રેમીના વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા

વડોદરામાં બહેનની હત્યાના કેસમાં આરોપી મોટી બહેન અને તેના પ્રેમીના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા બન્નેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં 10મી ડિસેમ્બરે થયેલા અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 36 વર્ષીય યુવતીની હત્યા તેની જ મોટી બહેને તેના પ્રેમી સાથે મળી કરવાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાની બહેનનો રૂપિયા 40 લાખનો જીવન વીમો પકવવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મોટી બહેન અને તેના પ્રેમી દ્વારા 28મી નવેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે બે વાર હત્યાના પ્લાનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. અંતે 10મી ડિસેમ્બરે શ્રમ કાર્ડ કઢાવવાના બહાને અજીઝાબાનુને બહાર લઈ જઈ પ્રેમીએ ઓઢણીથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. 10મી ડિસેમ્બરે વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક 35 વર્ષ આસપાસની ઉંમરની યુવતીની લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં ગળેટૂંપો આપવાના કારણે યુવતીનું મોત નિપજ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા, મોબાઇલના સીડીઆર અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. જેમાં અજીઝાબાનુની હત્યા પાછળ પરિવારનો જ કોઇ સભ્યો હોવાની શંકા ઉઠી હતી. જેથી પોલીસે એ થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે, અજીઝાબાનું ઘરેથી એક મોપેડ પર બેસી નિકળી હતી, એટલે પોલીસે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરતા રમીઝ રાઝા હનિફભાઇ બન્નુમીયા શેખ (રહે. દાતાર બાવાની દરગાહ, ગોરવા) પાસે રહેતો હોવાનું ખુલ્યું હતુ. પોલીસે જ્યારે વધુ તપાસ કરી તો અજીઝાબાનું જેની સાથે મોપેડ પર નીકળી હતી તે રમીઝ રાજાને અને મૃતક અજીઝાબાનુની મોટી બહેન ફિરોઝાબાનુને પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાનું માલૂમ પડ્યું હતું. અંતે પોલીસે સીધી જ ફિરોજાબાનું પાસે પહોંચી ગઈ હતી અને કડકાઈથી પૂછપરછ શરૂ કરતા હત્યા પરથી પડદો ઊંચકાઈ ગયો હતો. અજીઝાબાનુની હત્યા રૂપિયા 40 લાખનો વીમો પકવવા માટે કરવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી હતી. 28મી નવેમ્બરે અજીઝાબાનુ (મૃતક)નો રૂપિયા 40 લાખનો જીવન વીમો લેવામાં આવ્યો હતો. જેના પ્રિમિયમનો પ્રથમ હપ્તો પણ મોટી બહેને ફિરોજાબાનુએ ભર્યો હતો. જે દિવસે નાની બહેનનો જીવન વીમો લીધો, તે દિવસથી જ તેની હત્યા કરીને વીમો પકવવાનો ખતરનાક પ્લાન મોટી બહેન ફિરોજાબાનુંએ વિચારી લીધો હતો અને તેને અંજામ આપવા માટે પ્રેમી રમીઝ રાજાને કામ સોંપ્યું હતું. વીમો ઉતરાવ્યો ત્યારથી લઈ હત્યા થઈ ત્યાં સુધીના 12 દિવસમાં આરોપીઓએ અજીઝાબાનુની હત્યા માટે કૂલ ત્રણ પ્રયાસ કર્યા હતા. જેમાં પ્રથમ બે પ્રયાસોમાં સફળતા મળી ન હતી. ત્રીજા પ્રયાસમાં અજીઝાબાનું પોતાની મોટી બહેનની વાતમાં આવી જતા પ્રેમીની મદદથી કામ તમામ કરી નાખવામાં આવ્યું હતું. 9 ડિસેમ્બરે ફિરોજાબાનું (આરોપી)એ તેની નાની બહેન અજીઝાબાનુ (મૃતક)ને કહ્યું હતું કે, તારે શ્રમ કાર્ડ કઢાવવાનું છે તો મારો ઓળખીતો છે, તે રમીઝ રાજા તે કાઢી આપશે. શ્રમ કાર્ડ કઢાવવા માટે ફિરોજાએ મૃતક અજીઝાને ઘરેથી આર્યા હાઇટ્સ પાસે મોકલી હતી. જ્યાં રમીઝ તેને પોતાની મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને અજીઝાએ પહેરેલા દુપટ્ટા વડે જ તેને ગળે ટુંપો દઇ હત્યા કરી નાખી હતી. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા હત્યાના બનાવમાં એ પણ વિગત સામે આવી છે કે, નાની બહેનના મોત બાદ વીમાની જે રકમ પાકે તે 40 લાખ રૂપિયામાંથી 7 લાખ રૂપિયા હત્યાને અંજામ આપનાર પોતાના પ્રેમી રમીઝ રાજાને આપવાનો વાયદો કર્યો હતો. આરોપીઓ પોતાના પ્લાન મુજબ હત્યા કરવામાં તો સફળ રહ્યા પણ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેનો પ્લાન ઊંધો પાડી નાખતા હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:46 pm

આણંદના ઈન્દિરાનગરીમાં 350થી વધુ મકાનો હટાવવા નોટિસ:સ્થાનિકો મનપા કચેરીમાં ધસી આવ્યા, ભારે હોબાળો મચાવી વિરોધ કર્યો, પુન:ર્વસન વિના ડિમોલિશન સામે આંદોલનની ચીમકી

આણંદ શહેરના ઈન્દિરાનગરી વિસ્તારમાં આવેલા 350થી વધુ કાચા-પાકા મકાનો હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ગોપી સિનેમાથી અક્ષરફાર્મ તરફ જતા રોડ પર ટી.પી. 10 ના ફાઇનલ પ્લોટ નં. 51 માં આવેલી મનપા હસ્તક અને સરકારી જમીન પરના આ મકાનો ખાલી કરવા માટે 15 દિવસનો સમય અપાયો છે. આ નિર્ણયના વિરોધમાં 500થી વધુ સ્થાનિકોએ મનપા કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આ નિર્ણયથી 350 થી વધુ ગરીબ પરિવારો બેઘર થવાની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારના 500થી વધુ રહીશો ભીમ આર્મીના નેજા હેઠળ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઝૂંપડપટ્ટી અને નીચી આવકવાળા આવાસોની તોડફોડ અને ડિમોલિશન સામે ગંભીર વાંધો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં 50 થી 70 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા પરિવારોના ઘરો પર કોઈ યોગ્ય નોટિસ, સર્વે કે પુન:ર્વસનની વ્યવસ્થા કર્યા વિના તોડફોડ કરવામાં આવી રહી છે અથવા તેની તૈયારી ચાલી રહી છે. કરમસદ-આણંદના ટી.પી. 10ના ફાઇનલ પ્લોટ નં. 51માં ફક્ત લાલ બોર્ડ લગાવીને જાહેર નોટિસ આપવામાં આવી છે, જેમાં કોઈ કલમનો ઉલ્લેખ નથી અને 15 દિવસમાં વસવાટ ખાલી કરવા જણાવ્યું છે. હકીકતમાં, આ વસવાટ 70 વર્ષથી અહીંયા છે. આવી રીતે બોર્ડ લગાવીને અને ખોટી માહિતી આપી લોકોને ડરાવીને, ભયનો માહોલ ઉભો કરીને, લોકોને પોતાના ઘર તોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. પુન:ર્વસન વગર આટલી જૂની ઝૂંપડપટ્ટી હટાવી શકાય નહીં. આવાસનો અધિકાર જીવનના અધિકાર સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ, ખાસ કરીને Olga Tellis v. BMC કેસ અનુસાર, પુનર્વસન વિના કોઈપણ તોડફોડ અથવા ડિમોલિશન ગેરકાયદેસર ગણાય છે. લાંબા સમયથી વસવાટ કરતી વસાહતોને અચાનક દૂર કરવી એ નીતિ અને ન્યાય બંનેના વિરુદ્ધ છે. જો કોઈપણ પરિસ્થિતિમાં ઈન્દિરાનગરીના ઘરોની તોડફોડ અથવા ડિમોલિશન કરવામાં આવશે, તો તેના વિરુદ્ધ લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે જનઆંદોલન કરવા માટે મજબૂર થવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જાહેર ઇમારતો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિવાસસ્થાનને આશ્રયસ્થાન બનાવીશુંઆવેદનપત્રમાં વધુ જણાવ્યું છે કે, જો અમને બિન પુન:ર્વસન ઘરો વિહોણા બનાવવામા આવશે, તો રહેવા માટે કોઈ વિકલ્પ ન રહેતા સરકારી કચેરીઓ, જેમ કે નગરપાલિકા કચેરી, પોલીસ સ્ટેશન સહિતની જાહેર ઇમારતો તેમજ જવાબદાર તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદસભ્યો, સંબંધિત નગરપાલિકાના અધિકારીઓના નિવાસસ્થાનોને પ્રતીકાત્મક આશ્રયસ્થાન બનાવવાની ફરજ પડશે. બોર્ડમાં દર્શાવેલ વસાહતના નામનો વિરોધસ્થાનિકો રોષપૂર્વક જણાવે છે કે, અમારા વસાહતનું વાસ્તવિક નામ ઇન્દિરાનગરી છે. પરંતુ, મનપા દ્વારા મુકવામાં આવેલ બોર્ડમાં વસાહતનું નામ “ઢેડી તલાવડી તરીકે ઉલ્લેખવામા આવ્યું છે. આ શબ્દનો ઉપયોગ મૂળ નિવાસી (બહુજન) સમુદાયને અપમાનિત કરવા માટે થતો એક જાતિ આધારિત અપમાનજનક સંબોધન તરીકે જાણીતો છે. આ પ્રકારનો શબ્દપ્રયોગ માત્ર અસંવેદનશીલ જ નથી પરંતુ ગંભીર ગુનાહિત સ્વરૂપનો પણ છે. સ્લમ રીહેબિલીટેશન પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ કરવા રજૂઆત મળી: ડે.કમિશ્નરડે.મ્યુ કમિશ્નર નિલાક્ષ મકવાણા જણાવે છે કે, ભીમ આર્મીના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં સ્લમ રીહેબિલીટેશન પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ નોટીસ પરત્વે વિચાર કરવા માટે પણ તેમણે આ આવેદનપત્ર થકી જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:33 pm

યાત્રી કૃપયા ધ્યાન દે..:રાજકોટ-પોરબંદર-વેરાવળ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો, 22 ડિસેમ્બરથી લાગુ થશે, જાણો નવું શેડ્યુલ

મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતામાં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત ચાર ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટથી પોરબંદર અને વેરાવળ રૂટ પરની ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે સમય આગામી 22 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોરબંદર લોકલ ટ્રેન સવારે સવારે 8.35 ના બદલે 8.50 વાગ્યે ઉપડશે, વેરાવળ રાજકોટ લોકલ ટ્રેન ભક્તિનગર સ્ટેશન પર 13 મિનિટ વહેલા એટલે કે 9.04 વાગ્યે આવશે, પોરબંદર રાજકોટ ટ્રેન ભક્તિનગર સ્ટેશન પર 10 મિનિટ વહેલા એટલે કે 9.50 વાગ્યે આવશે અને રાજકોટ વેરાવળ ટ્રેન 8 વાગ્યા બદલે 7.55 વાગ્યે એટલે કે 5 મિનિટ વહેલા ઉપડશે. (1) ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેનના રાજકોટથી ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ માર્ગના વિવિધ સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. પોરબંદર પહોંચવાનો સમય યથાવત રહેશે. આ ટ્રેન રાજકોટથી સવારે 8.35 વાગ્યાના બદલે 8.50 વાગ્યે ઉપડશે. (2) ટ્રેન નંબર 59422 વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનના વેરાવળથી રીબડા સ્ટેશન સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર ભક્તિનગર સ્ટેશન પર આગમન/ પ્રસ્થાનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો ભક્તિનગર સ્ટેશન પર આગમન 9.17 ના બદલે 9.04 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને પ્રસ્થાનનો સમય 09.04 વાગ્યા બદલે 09.06 વાગ્યાનો કરવમાં આવ્યો છે. (3) ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ ટ્રેનના વેરાવળથી ગોંડલ સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તિનગર સ્ટેશન પર સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો ભક્તિનગર સ્ટેશન પર આગમનનો સમય 10 વાગ્યાના બદલે 9.50 વાગ્યાનો અને પ્રસ્થાનનો સમય 09.52 રહેશે. (4) ટ્રેન નંબર 59423 રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના રાજકોટથી ઉપડવાના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે અને ભક્તિનગર સ્ટેશન પર સુધારેલો સમય લાગુ થશે. આગળ વેરાવળ સુધીના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટથી 8 વાગ્યાના બદલે 7.55 વાગ્યે ઉપડશે. જે ટ્રેન ભક્તિનગર સ્ટેશન પર 8.07 વાગ્યે આગમન થશે અને 8.09 વાગ્યે પ્રસ્થાનનો કરશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:27 pm

પોરબંદર LCBએ ગોસા હત્યાકાંડના મુખ્ય આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપ્યો:દુધરેજ કેનાલ કાંઠે આવેલી ઝુપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો

પોરબંદર એલ.સી.બી.એ ગોસા ગામના બેટી સીમ વિસ્તારમાં થયેલા હત્યાકાંડના મુખ્ય આરોપી કાસમ જુમાભાઇ ખારીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો છે. નવીબંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં થયેલા આ ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં સફળતા મેળવી છે. ગત તા. 11/12/2025 ના રોજ ગોસા ગામના વિસાણા ફળીયામાં રહેતા કાનાભાઇ નાથાભાઇ ઓડેદરાએ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અજાણ્યા ઇસમે ભરતભાઇ નાથાભાઇ ઓડેદરા (ઉ.વ. 51) ને જમણા પગના સાથળ ભાગે દેશી હાથ બનાવટની બંદૂકથી ગોળી મારી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે નવીબંદર મરીન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આસપાસના વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી હતી. ટેકનિકલ સોર્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસને વેગ મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગોસા ગામના વાડી વિસ્તારમાં કાસમ જુમાભાઇ ખારી અને સાજણ ખારીને ગામ લોકોએ રખોલુ તરીકે રૂ. 90,000/- આપી રાખ્યા હતા. આ બંને મૂળ મોટી મારડ ગામ, તા. ધોરાજી, જી. રાજકોટના રહેવાસી હતા. હત્યાના બનાવ બાદ બંને અચાનક ગાયબ થઈ જતાં પોલીસને તેમના પર શંકા વધુ મજબૂત બની હતી. આરોપીઓ કાકા-ભત્રીજા હોવાની માહિતી મળ્યા બાદ એલ.સી.બી. દ્વારા ASI ઉદયભાઇ વરૂ, HC ગોવિંદભાઇ મકવાણા, HC સલીમભાઇ પઠાણ અને લખમણભાઇ ઓડેદરાની એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં તપાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં ટેકનિકલ માહિતી અને બાતમીદારોના આધારે પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. તપાસ દરમિયાન, કાસમ જુમાભાઇ ખારી (ઉ.વ. 25) ને સુરેન્દ્રનગરના દુધરેજ કેનાલ કાંઠે આવેલી ઝુપડપટ્ટીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને પોતાની જામગરી દેશી બંદૂકથી ફાયરિંગ કર્યાની હકીકત સ્વીકારી હતી. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:14 pm

CIDના લાંચિયા PI- કોન્સ્ટેબલના 2 દિવસના રિમાન્ડ મંજૂર:ફરિયાદી સામે નોંધાયેલી ફરિયાદમાં કાર્યવાહી નહીં કરવા બદલ 30 લાખની લાંચ માગી હતી

CID ક્રાઈમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ તથા CID ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસવ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને ACB એ 30 લાખની લાંચના કેસમાં ઝડપી પાડ્યા હતા. જેમાં બંને આરોપીઓને આજે કોર્ટમાં 5 દિવસના રીમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરિયાદી સામે કાર્યવાહી નહીં કરવાના બદલામાં રૂ. 30 લાખની લાંચ માગી હતીકેસને વિગતે જોતા બંને આરોપીઓએ CID ક્રાઈમ ગાંધીનગર ઝોનના પોલીસ મથકે વર્ષ 2024 માં નોંધાયેલી ફરિયાદ ઉપર કાર્યવાહી નહીં કરવા માટે ફરિયાદી અને તેના મિત્ર પાસેથી 30 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેથી ફરીયાદીએ ACB નો સંપર્ક કરી ફરીયાદ આપતા ACB એ લાંચનું છટકું ગોઠવ્યું હતું. સોમવારે ACBએ સરગાસણમાં ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા હતા જેમાં CID ક્રાઈમના કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે સરગાસણ, ગાંધીનગર ખાતે 30 લાખની રકમ સ્વીકારી તથા CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.પટેલે લાંચના છટકા દરમ્યાન સ્વિકૃત્તિ આપી બંન્ને આરોપીઓએ એક બીજાની મદદગારી કરી પકડાઇ ગયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:09 pm

મોરબીમાં 3 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત:અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો રેવન્યુ-પોલીસે તોડ્યા

મોરબીના ઇન્દિરાનગર અને મફતિયાપરા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. રેવન્યુ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા રહેણાંક મકાનો તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાથી વધુની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ, શરીર સંબંધી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત મોરબીમાં પણ કાર્યવાહી કરવામાં આવી. મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ આપેલી માહિતી મુજબ, મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂના ગુનામાં સંકળાયેલા વાલજી શામજીભાઈ જંજવાડિયા અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા મનસુખ હનાભાઈ ચાવડાના રહેણાંક મકાનો પર કાર્યવાહી કરાઈ. રેવન્યુ વિભાગના મામલતદાર સહિતની ટીમે જેસીબી અને હિટાચી મશીનનો ઉપયોગ કરીને આ દબાણો તોડી પાડ્યા હતા. મોરબી તાલુકા મામલતદાર ચિરાગભાઈ નિમાવત પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 196 પૈકી 1ના સરકારી ખરાબામાં આવેલા મફતિયાપરામાં વાલજી શામજીભાઈ જંજવાડિયાએ 100 ચોરસ મીટર જમીન પર દબાણ કર્યું હતું. જ્યારે, મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 190 પૈકી 3 વાળી સરકારી જમીન પર મનસુખભાઈ હનાભાઈ ચાવડાએ 250 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. કુલ 350 ચોરસ મીટર સરકારી જમીન પરના આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની સરકારી જંત્રી દર મુજબ કિંમત 73.50 લાખ રૂપિયા થાય છે, પરંતુ બજાર કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાની સૂચના મુજબ, અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વારંવાર ગુનાઓમાં સંડોવાતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે મોરબીમાં પણ વિવિધ સ્થળોએ સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 6:05 pm

મંત્ર દિનની ભવ્ય ઉજવણી:સ્વામિનારાયણ સંપ્રદાયનો 224 વર્ષ પહેલા પ્રારંભ, સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં અઢી લાખ કલાકથી ચાલે છે અખંડધૂન

યંત્ર અને તંત્રના આ યુગમાં તંત્ર વ્યકિતને વ્યવસ્થા આપે છે. યંત્ર વ્યક્તિને વ્યવસ્થા સાથે સુવિધા આપે છે. જ્યારે મંત્ર તો અશક્યને શક્યતામાં ફેરવી દેનારું મહત્વનું પરિબળ છે એમ વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજકોટથી પધારેલ પૂજ્ય મહંત દેવપ્રસાદાસજી સ્વામીએ કહ્યું હતું. પ્રભુ સ્વામીના જણાવ્યુસાર સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે છેલ્લી 2,45,000 કલાકથી અવિરત દિન રાત અખંડ' સ્વામિનારાયણ' મહામંત્રની ધુન ચાલી રહી છે. તપોનિષ્ઠ અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીએ 1997 માં ધૂન શરૂ કરાવેલ. સુરત ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ચાલતી આ ધૂનમાં ૪૦૦૦ મહિલા અને ૩૫૦૦ યુવાનો ઉપરાંત બાળકો અને સાધુ સંતો ભાગ લઈ રહ્યા છે. આ ધૂન સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું અને સુરતનું એક નવલું નજરાણું છે. વધુમાં પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે આજની સફલા એકાદશીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ થયેલ છે. આજથી 224 વર્ષ પહેલાં શરૂ થયેલ સંપ્રદાય દેશ અને દુનિયામાં વિસ્તરેલ છે. સંપ્રદાયના કરોડો અનુયાયીઓ નિર્વ્યસની અને સદાચારમય જીવન જીવી રહ્યા છે. સંપ્રદાયના જુદા જુદા ફિરકાઓ દ્વારા આજે વિશ્વમાં હજારો મંદિરો, 200 ઉપરાંત ગુરૂકુલો તથા 4000 ઉપરાંત સંતો દ્વારા ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવાઓ થઈ રહી છે. આજે સવારે ભગવાનને ષોડશોપચારથી અભિષેક, રાજોપચાર પૂજન, મહાનિરાજન આરતિ, સારસિદ્ધિ ગ્રંથની કથા, હરિસ્મૃતિ ગાન, સ્વામિનારાયણ મંત્રનું પૂજન, જ્યાં 28 વર્ષથી અખંડ ધૂન ચાલી રહી છે તે ધૂનમંડપનું પૂજન કરવામાં આવેલ. ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ મંત્ર મહિમાના રૂપક તેમજ નૃત્ય વગેરે કરેલા . આ પ્રસંગે નવસારીથી ભક્તિવલ્લભદાસજી સ્વામી, નીલકંઠધામ પોઇચાથી ધર્મસંભવ સ્વામી, વડોદરાથી અખિલેશ સ્વામી, બ્રહ્મર્ષિ સ્વામી, ભરૂચથી દેવપ્રકાશ સ્વામી વગેરે સંતો પધારેલા. અંતમાં હજારો ભક્તોએ સંતોના હાથે વઘારેલ રીંગણાનું શાક અને બાજરાના રોટલાનો પ્રસાદ લીધેલ.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:56 pm

કમલા તળાવ પર ફરી વળ્યુ બુલડોઝર:બેઘર થતા છાજિયા લઈને રડી મહિલાઓ, એક સાથે ચાર યુવકોની અર્થી ઉઠતા ગામમાં હાહાકાર, CMને મળ્યું આપનું પ્રતિનિધિ મંડળ

કમલા તળાવ પરથી દૂર કારાયા ગેરકાયદે દબાણો અમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલા તળાવમાં 150 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા. બેઘર થતા મહિલાઓની સાથે સાથે નાના બાળકો અને પુરુષો પણ રડી પડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પાર્ટ ટુ શરુ થશે ગુજરાત કોંગ્રેસે જન આક્રોશ યાત્રા પાર્ટ-2ની જાહેરાત કરી છે. 20 ડિસેમ્બરે ફાગવેલથી યાત્રા શરુ થશે અને 6 જાન્યુઆરીએ કંબોઈ ધામમાં સમાપન થશે. કોંગ્રેસ આ યાત્રામાં મનરેગા કૌભાંડ, નલ સે જલ યોજનામાં કૌભાંડ , અને કોમનવેલ્થ ગેમ્સ માટે થઈ રહેલા ડિમોલીશન મુદ્દે સરકારને ઘેરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાસ્કર ઈમ્પેક્ટ બાદ ગોગો પેપર્સનું વેચાણ બંધ દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ બાદ રાજ્યમાં બ્લિન્કિટ પર થઈ રહેલા ગોગો પેપર્સનું વેચાણ બંધ થયું..સુરતમાં પોલીસે ગોડાઉન પર રેડ પાડી.. SOGએ કહ્યું-જે પ્લેટફોર્મ ઓનલાઇન વેચશે તેના ગોડાઉન પર સર્ચ કરી કાર્યવાહી કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CMને મળ્યું આપનું પ્રતિનિધિ મંડળ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. ઈસુદાન ગઢવી સહિતના પ્રતિનિધીઓએ ખેડૂતોના 11 મુદ્દાઓની રજૂઆત કરી .. કહ્યું ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રીબડામાં 35 વર્ષ જૂના દબાણો દૂર કરવામાં આવ્યા ગોંડલના રીબડામાં ગેરકાયદે બનેલી 35 વર્ષ જૂની હોટલ પર બુલડોઝર ફરી વળ્યું.. ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું કે અન્ય ગામોમાં અનેક દબાણો છે, પણ રિબડાને જ ટાર્ગેટ કરવામાં આવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રિપલ અકસ્માતમાં એક જ ફળિયાના ચારના મોત ઈડરમાં સોમવારે મોડી રાત્રે ઈકો, રિક્ષા અને બુલેટ વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો. જેમાં ચાર યુવકોના મોત નીપજ્યા. એક જ ફળિયામાં રહેતા ચાર યુવકોના મોતથી ગામલોકો શોકમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાઈની નજર સામે જ બહેનનો આપઘાત સુરતમાં 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ભાઈની નજર સામે જ તાપીમાં ઝંપલાવી દીધું.માતાએ છોડી દીધા બાદ પિતા પણ ગુમ થઈ જતા દીકરીએ આઘાતમાં અંતિમ પગલું ભર્યું. મા-બાપ અંતિમ સંસ્કારમાં પણ હાજર ન રહેતા ભાઈએ અંતિમ વિધિ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોટી લઈ વિદ્યાર્થી પર ફરી વળ્યો માસ્તર મહેસાણાની ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષકે એક બાદ એક વિદ્યાર્થીને લાકડાની સોટીથી ફટકાર્યો. વીડિયો સામે આવ્યા બાદ શિક્ષક નીલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોરવેલમાં પડેલા પિતાપુત્રીનું દિલધડક રેસ્ક્યુ અમદાવાદના ચાંદલોડિયામાં પિતા-પુત્રી 60 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યા. પુત્રીનો પગ લપસતા પિતા તેને બચાવવા બોરવેલમાં કૂદી પડ્યા.ફાયરની ટીમે 20 મિનિટમાં બંનેને સહીસલામત બહાર કાઢ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં ગાંધીનગરમાં સૌપ્રથમ ગુનો દાખલ મ્યુલ એકાઉન્ટ કૌભાંડની તપાસનો રેલો પાટનગર સુધી પહોંચ્યો. મ્યુલ એકાઉન્ટ સંબંધિત કૌભાંડમાં ડીવાઇન કેટરર્સ નામની પેઢીના રૂપાલ ગામના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ. પેઢીના નામે દેશભરમાંથી 25 ફરિયાદો અને 74 લાખના વ્યવહારો મળ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:55 pm

ગોધરા A ડિવિઝન પોલીસમથકે વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું:SP હરેશ દૂધાતની અધ્યક્ષતામાં લોક દરબાર પણ ભરાયો

ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસમથકે 16 ડિસેમ્બરના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશ દૂધાતની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન, ડૉ.હરેશ દૂધાતે પોલીસમથકની કામગીરી, રેકોર્ડ, શિસ્ત અને કર્મચારીઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન વધુ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે યોજાયેલા લોક દરબારમાં ગોધરા શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબાર દરમિયાન નાગરિકોએ ગોધરા શહેર પોલીસ વિભાગને સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતોમાં મુખ્યત્વે ટ્રાફિક જામની સમસ્યા મોખરે હતી. નાગરિકોએ શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોને કારણે વધતી ટ્રાફિક સમસ્યા તરફ ધ્યાન દોર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશ દૂધાતે તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. તેમણે ખાસ કરીને ટ્રાફિક જામની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલા વિવિધ નિર્માણાધીન વિકાસકાર્યો વચ્ચે યોગ્ય આયોજન અને સંકલન કરી ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગોધરા શહેર એ ડિવિઝનના પીઆઈ આર.એમ. વસૈયા, એસઓજી પીઆઈ રાકેશ પટેલ સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે નાગરિકોએ લોક દરબાર જેવા આયોજન બદલ જિલ્લા પોલીસ અને ગોધરા શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આવા કાર્યક્રમો દ્વારા પોલીસ અને જનતા વચ્ચે સારો સંવાદ વધે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:51 pm

નાનકવાડા-વશીયાર બ્રિજ મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:પ્રજાના પૈસાનો વ્યય થતો હોવાના આક્ષેપ સાથે ‘શાંતિ યજ્ઞ’; અધિકારીઓને સદ્દબુદ્ધિ માટે પ્રાર્થના, હાઈકોર્ટમાં PILની ચીમકી

વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે નાનકવાડા-વશીયાર બ્રિજ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વાંકી નદી પર બની રહેલા આ બ્રિજના નિર્માણમાં પ્રજાના પૈસાનો વ્યય થતો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસે ‘શાંતિ યજ્ઞ’નું આયોજન કર્યું હતું. તેમણે અધિકારીઓ અને નેતાઓને સદ્દબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી અને હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. આ બ્રિજ વલસાડ તાલુકાના નાનકવાડા અને વશીયાર ગામોને જોડતો વાંકી નદી પર બની રહ્યો છે. યુથ કોંગ્રેસનો દાવો છે કે, આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને સરકારી નાણાંનો દુર્વ્યય થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, 14 દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. તેમાં બ્રિજનું કામ તાત્કાલિક બંધ કરવા અને પ્રોટેક્શન વોલ પાછળ થયેલા ખર્ચની રિકવરી કરવાની માંગ કરાઈ હતી. તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં આ યજ્ઞ યોજવાની ફરજ પડી છે. કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, આ બ્રિજ 3.80 કરોડના ખર્ચે બની રહ્યો છે અને 80 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. નિયમ મુજબ બ્રિજની પહોળાઈ 8.2 મીટર હોવાથી રસ્તાની બંને બાજુ 8 મીટરનો રસ્તો હોવો જોઈએ. આ માટે જમીન સંપાદન અને રોડ બનાવવા પાછળ બીજા 4 થી 5 કરોડનો ખર્ચ થશે. આમ, કુલ 10 કરોડ રૂપિયા જેટલા પ્રજાના ટેક્સના પૈસાનો આ સરકાર ધુમાડો કરી રહી છે. યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વકીલો સાથે ચર્ચા કરીને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરશે. સંડોવાયેલા અધિકારીઓ પાસેથી રિકવરી થાય તે માટે ન્યાયતંત્રના દ્વાર ખખડાવવામાં આવશે અને તેમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. આ શાંતિ યજ્ઞમાં કોંગ્રેસના કાર્યકરોએ આહુતિ આપીને ભગવાનને પ્રાર્થના કરી હતી કે, આ કામમાં સંડોવાયેલા અધિકારીઓ અને સ્થાનિક નેતાઓનું મન પરિવર્તન થાય.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:43 pm

લાઈટના પોલ સાથે અથડાતા બાઈકચાલક યુવકનું મોત:ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ દમ તોડ્યો, વડોદરાના નેશનલ હાઈવે 48 પરનો બનાવ

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર દશરથ GSFC સર્વિસ રોડ પરથી દશરથ ગામ તરફ જતા માર્ગે 20 વર્ષીય યુવકની બાઇક રોડ કિનારે આવેલા લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ મામલે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વીજળીના પોલ સાથે ધડાકાભેર અથડાયા બાદ ગંભીર ઈજા થતા મોતઆ અકસ્માતમાં મૃતકની ઓળખ ચિરાગકુમાર મનોજભાઈ જાધવ (ઉં.વ. 20, રહે. 261 માઢ ફળિયું, સાંકરદા, વડોદરા) તરીકે થઈ છે. મૃતકના ભાઈ પ્રીતેશભાઈ જાધવે છાણી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ, ચિરાગકુમાર પોતાની બાઇક પર કરોળીયાથી રણોલી ખાતે આવેલી ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં કામે જઈ રહ્યો હતો. દરમિયાન તેણે નેશનલ હાઇવે 48ના દશરથ GSFC સર્વિસ રોડ પરથી દશરથ ગામ તરફ જવાના માર્ગે બાઇક ચલાવતી વખતે રોડની સાઇડમાં આવેલા લાઇટના પોલ સાથે જોરદાર અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં છાણી પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:41 pm

સહકારી બેંકના ડિરેકટરે 10 વર્ષ બાદ ફરજિયાત પદ છોડવું પડશે:ભારત સરકારે બહાર પાડેલા નોટિફિકેશનનો 15 ડિસેમ્બરથી અમલ શરૂ

સહકારી બેંકમાં દસ વર્ષથી વધુ સમય માટે ડિરેકટર પદે રહેલાં ડિરેકટરોના મામલે છેલ્લાં ઘણાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. જો કે, ભારત સરકારે 10મી ડિસેમ્બરના રોજ આ અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. તેનાથી ગુજરાતની 200થી વધુ સહકારી બેંકો અને દેશના તમામ રાજ્યોની સહકારી બેંકોમાં ડિરેકટર તરીકે 10 વર્ષથી વધુ સેવા આપતાં ડિરેકટરોને રિઝર્વ બેંક પાત્રતા ન ધરાવતા હોવાનું ગણીને તેમને છૂટા કરી શકશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ નોટિફિકેશન 15 ડિસેમ્બરથી જ અમલમાં મૂકી દેવાયું છે. રિઝર્વ અને સહકારી બેંકના ડિરેકટર્સે 10 વર્ષ બાદ પદ છોડવું પડશે કેન્દ્ર સરકારે બહાર પાડેલાં નોટિફિકેશનમાં રિઝર્વ બેંક અને સહકારી બેંકના બોર્ડમાં દસ વર્ષથી વધુ સમયથી સેવા આપનારા ડિરેકટર્સને છૂટા કરી દેવાની સત્તા આપી છે. આમ તો સહકારી બેંકના બોર્ડમાં ડિરેકટર તરીકે સેવા આપતાં ડિરેકટર્સ આપોઆપ જ ગેરપાત્ર ઠરી જતાં હતા, પરંતુ રિઝર્વ બેંક પહેલાં સહકારી કાયદાની કેટલીક જોગવાઇના કારણે તેમાં વિરોધાભાસ ઊભો થતો હોવાથી તેમને દૂર કરી શકતા નહોતા. હવે તેમને ફરજિયાત હોદ્દો છોડવાની ફરજ પાડી શકશે. વિભાજીત ગ્રુપમાં હશે તેઓને ડ્રો સિસ્ટમથી દુર કરાશેબોર્ડ ઓફ ડિરેકટર્સમાં ઓછાં અને વધુ વર્ષથી સેવા આપતાં હોય, બંને અલગ-અલગ ગ્રૃપમાં સેવા આપતાં હોય, બંને અલગ-અલગ ગ્રૃપમાં વિભાજીત થઇ ગયા હોય તો અલગ-અલગ ગ્રૃપમાંથી દસ વર્ષથી વધુ સમયથી સેવા આપી હોય તેવા ડિરેકટર્સને દૂર કરવા માટે ડ્રો સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. જેમાં વહીવટદારો નિમણૂંક પામેલાં હોય કે પછી વહીવટદાર જ બેંકનો વહીવટ સંભાળતાં હશે અને બેંકમાં બોર્ડ જ અસ્તિત્વ ધરાવતું ન હોય તેવા કેસમાં પણ આ જોગવાઇ લાગુ કરી શકાશે. બેંકના બોર્ડમાં ડિરેકટરને છુટ્ટા કરવાને લઈ અસ્પષ્ટાતેમજ વર્ષો સુધી ચૂંટણીઓ યોજવામાં ન આવી હોય તેવી સંસ્થાઓમાં પણ જોગવાઇ લાગુ પડશે. જો કે, આ નોટિફિકેશનમાં બેંકના બોર્ડમાં ડિરેકટર તરીકે સેવા આપનાર વ્યક્તિ હોય તો તેના કિસ્સામાં દસ વર્ષનો નિયમ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે નોટિફિકેશનમાં સ્પષ્ટતાં કરવામાં આવી નથી. એટલું જ નહીં, પરંતુ ચેરમેન- મેનેજીંગ ડિરેકટરના હોદ્દેદારોને નોટિફિકેશનની જોગવાઇ લાગુ પડશે કે નહીં? તેની સ્પષ્ટતાં પણ નથી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:31 pm

બે કરોડના 25 બંગલા પર બુલડોઝર ફરશે:થલતેજની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને હવે ફ્લેટમાં રહેવું પડશે, શાસ્ત્રીનગરના સરદાર પટેલનગરમાં મકાનો ફાળવશે

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામના વિવાદનો અંત આવ્યો છે. AMC અને ગુજરાત હાઉસિંગના સંયુક્ત પ્રયાસથી શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર આવાસ યોજનામાં સોસાયટીના રહીશોને મકાન ફાળવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સભ્યો દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી છે કે, આ મકાનોના ભાડાની ચૂકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને AMC જે નિર્ણય લેશે તેમને સ્વીકાર્ય છે. જેથી છેલ્લા બે દિવસથી સ્નેહાંજલિ સોસાયટીનો ચાલતો વિવાદ પૂર્ણ થયો છે. શાસ્ત્રીનગરના સરદાર પટેલ નગરમાં મકાનો ફાળવશેસ્નેહાંજલિ સોસાયટીના વિવાદને લઈને આજે 16 ડિસેમ્બરના રોજ બોડકદેવ ખાતેની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીએ એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુ. કમિશનર તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ રહેણાંકના કબજેદારો સાથે મીટિંગ થઈ હતી. હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા સરદાર પટેલનગર ખાતેના આવાસોમાં શિફ્ટ થવા માટે તમામ સભ્યોએ સંમતિ દર્શાવી હતી. સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશન કરાશેતમામ સભ્યો દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, આ આવાસો પેટે ભાડાની ચૂકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને AMC જે નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય છે. આ વિવાદ પૂર્ણ થયા બાદ AMC દ્વારા આગામી દિવસોમાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે. આ મકાનો ડિમોલેશન કર્યા બાદ પ્લોટનો કબજો જે તે માલિકને સોંપવામાં આવશે. સોસાયટીના સભ્યોને એફપીમાં જગ્યા ફાળવવામાં આવી હતીઆ અંગેની વિગત એવી છે કે, હાલમાં સ્નેહાંજલિ સોસાયટી જે જગ્યાએ છે તે વિસ્તાર મૂળ ઔડા હસ્તક હતો. વર્ષ 1983-84માં સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોએ સરવે નંબર 113/2 પૈકીની જમીન ખરીદવામાં આવી હતી. ટીપી સ્કીમમાં આ સર્વે નંબરની જગ્યાએ એફપી 68ની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવી હતી. સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોને એફપીમાં જગ્યા ફાળવવામાં આવી હતી. આ બાબતે જાણ હોવા છતાં તેમણે પોતાના સર્વે નંબરની મૂળ જગ્યા પર વર્ષ 1989માં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આથી આ સર્વે નંબરની જગ્યા જે માલિકોને FP તરીકે ફાળવવામાં આવી હતી તેમણે વર્ષ 1989માં તેનો વાંધો ઔડા સમક્ષ ઉઠાવ્યો હતો. ઔડાની નોટિસ સામે રહીશોએ સિટી સિવિલ કોર્ટમાં દાવોઔડા દ્વારા સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ બાબતથી વાકેફ હતા કે તેઓ એવી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે કે જે જગ્યાએ તેમની માલિકીની નથી. આ નોટિસની સામે રહીશોએ સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા બાબતે મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ સર્વે નંબર 113/2ની જમીન તેના મૂળ માલિકોના પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી ખરીદી હતી. સ્નેહાંજલિ સોસાયટીની માલિકીની એન્ટ્રી રદ કરતો હુકમઆ સર્વે નંબરના મૂળ માલિકોએ જમીનના વેચાણના હકો પાવર ઓફ એટર્નીને આપ્યા ન હતા. આથી જમીનના મૂળ માલિકોએ રેવન્યુ ઓથોરિટીને આ વેચાણ તેમના દ્વારા થયેલી ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતને ધ્યાને લઈ રેવન્યુ રેકર્ડ પર વર્ષ 1997માં સ્નેહાંજલિ સોસાયટીની સર્વે નંબર 113/2 પરની માલિકી બાબતની એન્ટ્રી રદ કરતો હુકમ થયો હતો. 2003માં હાઈકોર્ટમાં જગ્યાનો કબજો મેળવવા અપીલ કરીઆ દરમિયાન સદર સર્વે નંબરની જગ્યા FP તરીકે જેમને ફાળવવામાં આવી હતી તેના માલિકો દ્વારા સ્નેહાંજલી સોસાયટી સામે સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. સિટી સિવિલ કોર્ટમાં થયેલા દાવા અને પ્રતિદાવાથી સદર બાબતનું નિરાકરણ ન આવતા, સર્વે નંબર 113/2 ની જગ્યા જે માલિકોને ફાળવવામાં આવી હતી તે જગ્યા એટલે કે FP નંબર 65 ના માલિકોએ (હાલની નિધી સોસાયટીએ) નામદાર હાઇકોર્ટ સમક્ષ વર્ષ 2003માં સદર જગ્યાનો ખુલ્લો કબજો મેળવવા માટે અપીલ દાખલ કરી હતી. સ્નેહાંજલિ સોસાયટીને 79 કરોડ રૂપિયા ભરવાના હતાત્યાર બાદ વખતો વખત સ્નેહાંજલી સોસાયટી તેમજ નિધિ સોસાયટી દ્વારા એકબીજાની સામે તેમજ ઔડાની સામે સિટી સિવિલ કોર્ટ તથા હાઇકોર્ટમાં દાવાઓ કરવામાં આવ્યો હતો. સ્નેહાંજલી સોસાયટીના સભ્યો તે જગ્યાએ ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા હોય માનવતા વાદી અભિગમ અપનાવી ઔડા દ્વારા જ્યાં સોસાયટી આવી છે ત્યાં ટીપી સ્કીમ વેરીડ કરી સેલ ફોર રેસિડેન્સિયલનું રિઝર્વેશન મૂકી ઔડાની લેન્ડ પ્રાઇસ ફિક્સિંગ કમિટી જે કિંમત નક્કી કરે તે સોસાયટી દ્વારા ચૂકવવામાં આવે તેમ ઠરાવવામાં આવ્યું હતું. જે મુજબ સ્નેહાંજલિ સોસાયટીને 79 કરોડ રૂપિયા ભરવાના થતા હતા. હાઈકોર્ટે પૈસા ભરવા અથવા પ્લોટ ખાલી કરવા ઓર્ડર કર્યોઆ વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લિમિટમાં આવ્યા પછી એએમસી દ્વારા આ બાબતના નિકાલ માટે ઔડા દ્વારા જણાવ્યું હતું. સ્નેહાંજલી સોસાયટી દ્વારા પ્લોટ પેટેની નક્કી કરેલી રકમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં જમા ન કરાવવામાં આવી તેમજ પ્લોટ ખાલી કરીને સોપવામાં ન આવતા નામદાર હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં નામદાર હાઇકોર્ટ દ્વારા કોમન કેવ જજમેન્ટ કરી 31 ડિસેમ્બર 2023 સુધીમાં નાણા જમા કરાવવા અન્યથા પ્લોટનો કબજો સોંપવા ઓર્ડર કરવામાં આવ્યો હતો. નિધિ સોસાયટીની સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશનજોકે સ્નેહાંજલી સોસાયટી દ્વારા તેનું પાલન ન થતા નિધિ સોસાયટી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતા નામદાર કોર્ટ દ્વારા 79 કરોડ રૂપિયાને બદલે પ્રવર્તમાન જંત્રી મુજબના નાણા એટલે કે 41 કરોડ રૂપિયા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમા કરાવવા અથવા પ્લોટનો ખુલ્લો કબજો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવા આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલી મુદતમાં સ્નેહાંજલિ સોસાયટી દ્વારા હુકમનું પાલન ન કરાતા નિધિ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એક અઠવાડિયામાં સોસાયટી ખાલી કરી ડિમોલેશન કરાશેસ્નેહલાંજલી સોસાયટીના રહીશોને મકાનો ખાલી કરવા માટે 23 ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે. 23 તારીખ સુધીમાં તમામ મકાનો સોસાયટીના રહીશોએ ખાલી કરવાના રહેશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ બંધ રહેલા 5 જેટલા મકાન કોર્પોરેશન પોતાના હસ્તગત લેશે. મકાન નંબર 3, 12, B-1, B-2 સહિતના મકાનનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ લેશે. એક અઠવાડિયામાં સમગ્ર સોસાયટી ખાલી કરીને ડિમોલેશન કરવામાં આવશે. સોસાયટીના તમામ રહીશો એક જૂથ થઈને બાહેંધરી પત્રકમાં સહી કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:30 pm

'પાટણ બસ સ્ટેન્ડ નિર્માણાધીન છતાં BU પરમિશન અપાઈ':કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી તપાસની માંગ; ચીફ ઓફિસરે કહ્યું- નાગરિકોને ઝડપથી સુવિધા મળે તેથી પરમિશન અપાઈ

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે પાટણ નગરપાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, શહેરના નિર્માણાધીન બસ સ્ટેન્ડને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન આપી દેવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલની રજૂઆત મુજબ, નવા બસ સ્ટેન્ડનું પ્રથમ માળનું કામ ચાલુ હતું ત્યારે જ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ BU પરમિશન આપવામાં આવી હતી. સામાન્ય રીતે, BU પરમિશન ત્યારે જ અપાય છે જ્યારે ઇમારત સંપૂર્ણપણે ઉપયોગ માટે તૈયાર હોય. આ મામલે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આક્ષેપ કરાયો છે કે, 9 ઓક્ટોબર, 2025ના રોજ ગૂગલ મેપ દ્વારા લેવાયેલા ફોટો અને વીડિયોમાં પણ પ્રથમ માળનું કામ ચાલુ હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત, 15 ડિસેમ્બર, 2025ના રોજ બસ સ્ટેન્ડના પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો બનેલી ન હોવા છતાં તેનું પણ BU પરમિશન આપી દેવાયું હતું. આ ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. નિર્માણાધીન બસ સ્ટેન્ડને BU પરમિશન આપ્યા બાદ પણ બાંધકામ ચાલુ રાખવા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો કોઈ અકસ્માત થાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે. કોંગ્રેસ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ બિલ્ડિંગને BU પરમિશન આપતા પહેલા સ્થળ તપાસ કરવાની જોગવાઈ હોય છે, પરંતુ આ કિસ્સામાં સ્થળ તપાસ થઈ હોય તેવું જણાતું નથી, જે ભ્રષ્ટાચાર સૂચવે છે. તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો સરકારી તંત્ર જ નિયમોનું પાલન ન કરે તો નાગરિકો પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય. આ બાબતે પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, નાગરિકોને બસ સ્ટેશન જેવી પાયાની સુવિધા ઝડપથી મળે તે હેતુથી BU પરમિશન આપવી તેમની ફરજ છે, કારણ કે BU પરમિશન વિના બસ સ્ટેશન ચાલુ થઈ શકતું નથી. આ વિસ્તારમાં સૌથી વધુ હોસ્પિટલ આવેલી છે. તેથી આસપાસના ગામડાથી આવતા નાગરિકોને હાલાકી ન પડે તે ધ્યાને રાખી BU ઝડપથી ઈશ્યુ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:24 pm

બોટાદમાં આરોગ્ય સેવાઓ સુધારવા DDO એક્શનમાં:વિવિધ કમિટીઓની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

બોટાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO) અક્ષય બુડાનિયાના અધ્યક્ષ સ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પંચાયત કચેરી ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ. ધોળકિયા, ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી ડો. એ.કે. સિંહ સહિત જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ (THOs) ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં એક્ઝિક્યુટિવ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ આશા ગવર્નિંગ બોડી કમિટી, ફેમિલી પ્લાનિંગ ઈન્ડેમ્નિટી સબ કમિટી, હેલ્થ એન્ડ વેલનેસ ગ્રીવન્સ રીડ્રેસલ સેલ કમિટી, બાંધકામ સમીક્ષા સમિતિ, ડિસ્ટ્રિક્ટ ન્યુટ્રીશન ટાસ્કફોર્સ કમિટી, નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ (NPCCHH) અંતર્ગત ટાસ્કફોર્સ કમિટી અને ડિસ્ટ્રિક્ટ ટીબી કોમોર્બિડિટી કમિટી જેવી મહત્ત્વપૂર્ણ સમિતિઓની પ્રગતિ અને પડકારો પર ચર્ચા થઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો થવો જોઈએ. તેમણે વિવિધ યોજનાઓનું અમલ સચોટ રીતે થાય અને આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન અને મહત્ત્વપૂર્ણ સૂચનો પૂરા પાડ્યા હતા. DDO એ સંબંધિત તમામ અધિકારીઓને આરોગ્ય ક્ષેત્રે સંકલિત અને અસરકારક કામગીરી કરવા તથા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે નિર્દેશ આપીને આ બેઠક પૂર્ણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:20 pm

જેલમાંથી બહાર આવી કીર્તિએ 'ધુરંધર'ના સોંગ પર રીલ બનાવી, VIDEO:સિગરેટના દમ મારતો વીડિયો મૂકી લખ્યું- લુખાવ રેડી છો ને?, FIR નોંધાવનાર અલ્પેશને ચીમકી આપી

સોશિયલ મીડિયા પર બેફામ ગાળાગાળી કરી હંમેશા વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ છેલ્લા એક મહિનાથી પાસા હેઠળ વડોદરા જેલમાં હતી. જેમાંથી બહાર આવતા જ સોશિયલ મીડિયા પર 'ધુરંધર' મુવીના સોંગ સાથે મૂકેલી એક રીલ ચર્ચાનું કેન્દ્ર બની છે. લુંગી અને જેકેટમાં સિગારેટ પીતો વીડિયો મૂકી લખ્યું છે- લુખાવ રેડી છો ને?. સાથે પોતાની સામે પોલીસ ફરિયાદ નોંધાવનાર અલ્પેશ ડોન્ડાને ચીમકી આપતી પોસ્ટ પણ કરી છે. જો કે, આ પહેલીવાર નથી. આ પહેલા પણ કીર્તિ પટેલ જ્યારે જેલમાંથી છૂટી ત્યારે આ રીતે જ રીલ બનાવી ચર્ચામાં આવી હતી. કીર્તિ પટેલ સામે ગુજરાતમાં અલગ અલગ 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ધુરંધર ફિલ્મના સોંગ પર સિગરેટના દમ લગાવતા રીલ બનાવીગુજરાતની જાણીતી અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પહેલા 93 દિવસના સુરત જેલવાસ અને ત્યારબાદ પાસામાં વડોદરા જેલમાં 1 મહિનો અને સાત દિવસ બાદ બહાર આવી છે.જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે તુરંત જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ પહેલા સુરતની લાજપોર જેલમાંથી જ્યારે બહાર આવી હતી ત્યારે જે રીતે લૂંગી અને જેકેટમાં વીડિયો પોસ્ટ કર્યો હતો એ જ પ્રમાણે હવે પાસા હેઠળ વડોદરા જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી લૂંગી અને જેકેટ સાથેનો વીડિયો ફરી પોસ્ટ કર્યો છે. જેમાં હાલનું ફેમસ સોંગ એટલે કે ધુરંધર સ્ટાઇલમાં કીર્તિ પટેલ દેખાઈ રહી છે. કીર્તિ પટેલે આ રીલ પોસ્ટ કરતાની સાથે જ એક કેપ્શન લખ્યું છે, લૂખાવ રેડી છો ને? પાસે હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલાઈ હતીકીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. ત્યારબાદ તેણે 93 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા પાસા હેઠળ પકડીને તેને વડોદરા જેલ ખાતે ધકેલી દેવામાં આવી હતી. કીર્તિ સામે ફરિયાદ નોંધાવનાર અલ્પેશ ડોન્ડાને ચીમકી આપીજેલમાંથી બહાર આવીને ફરી તેને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ચર્ચા જગાવી છે. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પણ પોસ્ટ કરી છે. જેમાં તેના વિરુદ્ધ બદનામ કરવા અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે એવા અલ્પેશ ડોંડાને ચીમકી પણ આપી છે. સ્ટોરીમાં અલ્પેશ ડોંડાના ફોટાની નીચે લખ્યું છે કે, લો આવી ગઈ પાછી, અલ્પેશ ડોંડાના તમામ જવાબ આપું હો બેટા, કોકની દીકરીનું ખરાબ બોલીને પાછો કેસ કરે છે, જુઠ્ઠો એ જુઠ્ઠા કેસના તમામ પુરાવા આપીશ. આ સમાચાર પણ વાંચોઃ બ્લેક લુંગીમાં કારમાંથી ઊતરી બ્લેઝર પહેર્યું, 93 દિવસે જેલમાંથી બહાર આવી રીલ પોસ્ટ કરી કહ્યું, 'કેમ છો મજામાં?' કીર્તિ પટેલ સામે ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે અલગ અલગ 10 ગુનાસુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે 10 દિવસ પહેલા વધુ એક ગુનો દાખલ થયો હતો, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો હતો. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે.કારણ કે તેનું મુખ્ય હથિયાર 'સોશિયલ મીડિયા' રહ્યું છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવાના આરોપો લાગ્યા છે. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી.પરંતુ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તે આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી હતી. ગુના આચરતી હતી. 'કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો, હપતા હું ભરું છું' સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની બે કરોડની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલા લોકો પણ હવે સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) ખંડણીખોર કીર્તિ પટેલને નફ્ફટાઈથી હસવું ભારે પડ્યું! ગત 17 જૂન, 2025ના રોજ ખંડણીકોર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની અગાઉ પણ બે વાર ધરપકડ થઈ ચૂકી છે અને જેલની હવા ખાઈ ચૂકી છે. જોકે ત્યારે તે સરળતાથી જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી. પરંતુ હવે કીર્તિ પટેલ સામે 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે. હવે બહાર રીતસર હવાતિયાં મારી રહી છે. કેમ કે છેલ્લા એક મહિનામાં બે કેસમાં જામીન અરજી કરી છે અને બંને અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)​​​​​​

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 5:13 pm

ભારતીયોના ફોન પણ ચીનથી કંટ્રોલ થતાં:સાયબર ફ્રોડ માટે બેંક ખાતા ભાડે આપનાર આરોપીના મોબાઈલમાંથી 'ચાઈનીઝ જાસૂસ' APK ફાઈલ મળી

સાયબર ફ્રોડની દુનિયામાં અત્યાર સુધી તમે એવું જ સાંભળ્યું હશે કે ગઠિયાઓ ભોળિયા લોકોને લિંક મોકલે છે અને લોકોના મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવીને પૈસા ઉપાડી લે છે. પરંતુ સુરત સાયબર ક્રાઈમ સેલની તપાસમાં એક એવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેણે પોલીસ અધિકારીઓને પણ વિચારતા કરી દીધા છે. સુરતના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં APK ફાઈલ વિક્ટિમના નહીં, પરંતુ આરોપીના મોબાઈલમાંથી મળી આવી છે. શેરબજારમાં રોકાણના નામે થયેલા રૂ. 30 લાખના ફ્રોડની તપાસમાં 'કૃષ્ણા ફેશન'ના પ્રોપરાઈટર અને યસ બેંક એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ બાદ આ ભાંડો ફૂટ્યો છે. સુરતમાં ફર્સ્ટ ટાઈમ: 'હ્યુમન ઓટોમેશન'નું નવું ષડયંત્રસુરત સાયબર સેલના ડીસીપી બિશાખા જૈન અને તેમની ટીમે જ્યારે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમના મોબાઈલ ચેક કરતા પોલીસ ચોંકી ગઈ હતી. આરોપીઓના ફોનમાં sms-receiver (2).apk નામની એક શંકાસ્પદ ચાઈનીઝ એપ્લિકેશન ઈન્સ્ટોલ હતી. આ પહેલા ક્યારેય સુરતમાં પકડાયેલા કોઈ પણ 'મ્યુલ એકાઉન્ટ' ભાડાના ખાતા ધારક પાસે આવી એપ મળી નહોતી. આ ઘટના દર્શાવે છે કે, સાયબર ક્રાઈમ હવે નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયું છે. કેવી રીતે કામ કરતી હતી આ 'ચાઈનીઝ જાળ'?આરોપીઓ માત્ર કમિશન માટે બેંક એકાઉન્ટ જ નહોતા આપતા, પરંતુ તેઓ ચીનમાં બેઠેલા હેન્ડલર્સના 'ડિજિટલ ગુલામ' બની ગયા હતા. આરોપી ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસીયાના મોબાઈલમાં ચાઈનીઝ આકાઓએ sms-receiver એપ ડાઉનલોડ કરાવી હતી. સામાન્ય રીતે ગુનેગારો એકાઉન્ટ હોલ્ડર પાસે OTP માંગતા હોય છે, પરંતુ આ એપના કારણે આરોપીના મોબાઈલ પર આવતો બેંકનો OTP સેકન્ડના સોમાં ભાગમાં સીધો વિદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના સર્વર પર 'ઓટો-રિડાયરેક્ટ' થઈ જતો હતો. આરોપીનો ફોન સુરતમાં હોય, પણ તેનો કંટ્રોલ ચીનમાં હતો. આરોપીને ખબર પણ ન પડે તે પહેલાં જ તેના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની હેરફેર થઈ જતી હતી. ‘કૃષ્ણા ફેશન' અને યસ બેંકનું કનેક્શનઆ હાઈટેક કૌભાંડમાં 'KRISHNA FASHION' નામની પેઢીના YES BANK ના કરંટ એકાઉન્ટનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ થયો હતો. આરોપી ધર્મેશકુમાર પ્રેમજીભાઈ ચોપડા (રહે. પુણાગામ, સુરત), આ શખ્સ 'કૃષ્ણા ફેશન'નો પ્રોપરાઈટર છે. તેણે થોડા રૂપિયાના કમિશનની લાલચમાં પોતાના ધંધાનું યસ બેંકનું ખાતું અને પોતાનો મોબાઈલ (APK સાથે) સાયબર માફિયાઓને સોંપી દીધો હતો. આરોપી હિતેશ ભાયાભાઈ ચકલાસીયા, આ શખસની ભૂમિકા અત્યંત ગંભીર છે, કારણ કે તે અન્ય 26 કરોડના ફ્રોડમાં પણ વોન્ટેડ છે. 30 લાખનું ફ્રોડ અને ધમકીનો ખેલફરિયાદીને શેરબજારમાં રોકાણ કરાવવા માટે 'LKP3 Consalation Camp' નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. શરૂઆતમાં નફો બતાવી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ 30 લાખ રૂપિયા 'કૃષ્ણા ફેશન'ના યસ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા. જ્યારે ફરિયાદીએ પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ વકીલની નોટિસ અને જેલની ધમકી આપી વધુ પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ માટે મોટી સફળતાસુરત સાયબર ક્રાઈમ માટે આ કેસ એક 'કેસ સ્ટડી' સમાન છે. આરોપીના મોબાઈલમાં APK મળવી એ સાબિત કરે છે કે સ્થાનિક લોકો હવે જાણતા-અજાણતા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો સક્રિય હિસ્સો બની રહ્યા છે. પોલીસે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવી આ ચાઈનીઝ એપનું મૂળ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:55 pm

પોલીસ ગોગો પેપર શોધવા નીકળી ને મળી પ્રતિબંધિત ઈ-સિગરેટ:વડોદરાના ફલેટમાંથી 10.42 લાખની કિંમતના 487 ઈ-સિગરેટ બોક્ષ જથ્થા સાથે એકની ધરપકડ, સપ્લાય કરનાર આરોપી વોન્ટેડ જાહેર

વડોદરા SOGની ટીમ ગોગો પેપર શોધવા નીકળી હતી. આ દરમિયાન આજવા રોડ પર આવેલી જેની રેસીડન્સીમાંથી 10.42 લાખ રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ઈ-સિગરેટ (વેપ)નો જથ્થો મળી આવ્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલી વિશેષ મહિલા ઈન્ચાર્જ પોલીસ કમિશનર લીના પાટીલની સૂચનાને પગલે એસ.ઓ.જી.ના પીઆઈ એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી ટીમને અંગત બાતમી મળી હતી કે, વડોદરા શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે જેની રેસીડન્સીના એ/503 નંબરના ફ્લેટમાં રહેતા સેફાન ઉર્ફે બાબા ઈકબાલભાઈ મેમણ પોતાના રહેઠાણમાંથી પ્રતિબંધિત ઈ-સિગરેટનો જથ્થો છુટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ સમયે હાજર આરોપી સેફાનબાબા મેમણને હાજર રાખીને તેના ફ્લેટની તલાશી લેવામાં આવી હતી, જ્યાં વિવિધ કંપનીઓની બનાવટની પ્રતિબંધિત ઈ-સિગરેટના કુલ 487 બોક્સ મળી આવ્યા હતા. આમાં મુખ્યત્વે Elfbar અને Yuoto DIGI કંપનીની અલગ-અલગ ફ્લેવરવાળી, મેડ ઈન ચાઈના બનાવટની ઈ-સિગરેટનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 10.42 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, આ જથ્થો તેણે ઈબ્રાહીમ હનીફભાઈ બીલ્લાવાલા (રહે. દુધવાળા મહોલ્લો, પાણીગેટ, વડોદરા) પાસેથી મંગાવ્યો હતો અને પોતે તેનું છુટક વેચાણ કરતો હતો. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે અને જથ્થો સપ્લાય કરનાર વ્યક્તિની શોધખોળ પણ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:49 pm

‘ઓપરેશન મ્યુલ’ અંતર્ગત રૂ. 2.60 કરોડના વ્યવહારો સામે આવ્યા:સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 270 શંકાસ્પદ ખાતાઓની તપાસ, 10 આરોપીઓ ઝડપાયા, 5 ફરાર

વલસાડ જિલ્લામાં સાયબર ક્રાઈમ સામે પોલીસે ‘ઓપરેશન મ્યુલ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 270 શંકાસ્પદ ‘મ્યુલ એકાઉન્ટ’ શોધી કાઢ્યા છે. આ તપાસમાં અત્યાર સુધીમાં રૂ. 2.60 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો ઓનલાઈન છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં અન્ય વ્યક્તિઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે, જેને ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવાય છે. આ રકમ બાદમાં રોકડમાં ઉપાડી લેવામાં આવે છે અથવા USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને દેશ-વિદેશમાં મોકલી દેવામાં આવે છે. I4C અને સાયબર સેન્ટર ફોર એક્સલન્સ તરફથી મળેલી માહિતીના આધારે વલસાડ જિલ્લામાં 270 શંકાસ્પદ ખાતાઓની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે જિલ્લાની 25 બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજી સઘન તપાસ શરૂ કરી. અત્યાર સુધીમાં 80 ખાતાઓની તપાસ પૂર્ણ થતા ડુંગરા, વાપી ટાઉન, પારડી, વાપી GIDC અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુના નોંધાયા છે. આ મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 5 આરોપીઓ હજુ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ કૌભાંડમાં સંડોવાયેલા ઘણા આરોપીઓ શિક્ષિત અને નોકરીયાત વર્ગના છે. કેટલાક આરોપીઓ કંપનીમાં HR મેનેજર, BBA-BCA જેવા ઉચ્ચ અભ્યાસ ધરાવતા તેમજ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. કમિશનની લાલચમાં આવીને તેઓએ પોતાના અથવા સગા-સંબંધીઓના બેંક એકાઉન્ટ સાયબર ગુનેગારોને ઉપયોગ માટે આપ્યા હતા. પોલીસે યુવાનો અને વાલીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, માત્ર કમિશનની લાલચમાં કોઈને પણ પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ માટે આપવું ગંભીર ગુનો છે. સાયબર ફ્રોડના નાણાં ખાતામાં જમા થાય તો એકાઉન્ટ ધારક પણ ગુનાનો ભાગીદાર ગણાશે અને તેની કારકિર્દી પર ગંભીર અસર પડી શકે છે. કોઈ પણ શંકાસ્પદ લાલચ મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ હાલ અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ તેમજ બાકી રહેલા શંકાસ્પદ ખાતાઓની તપાસ માટે સઘન કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:36 pm

સંઘવીને રજૂઆત કરે તે પહેલાં જ આઉટસોર્સિંગ કર્મીઓની અટકાયત:10 વર્ષમાં માત્ર આરોગ્ય વિભાગમાં જ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા 5000 કરોડ રૂપિયાની ઉચાપતઃ રજનીકાંત

ગાંધીનગરમાં આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં થતી કથિત ચોરી સામે અવાજ ઉઠાવવા આવેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય સહિત દસ જેટલા લોકોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યકરો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, બોનસ અને રજા પગાર બાબતે થતી ગેરરીતિ અંગે લેખિત રજૂઆત કરવાની તૈયારીમાં હતા. જોકે, રજૂઆત થાય તે પહેલા જ પોલીસ દ્વારા તમામને અટકાવી લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગમાં જ 5 હજાર કરોડ રૂપિયાની ઉચાપતઃ રજનીકાંત ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયએ આક્ષેપ કર્યો કે, છેલ્લા દસ વર્ષમાં માત્ર આરોગ્ય વિભાગમાં જ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. તેમનો દાવો છે કે, અનેક વખત ફરિયાદો છતાં એજન્સીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કર્મચારીઓના હકના બોનસ અને રજા પગારના રૂપિયા પણ એજન્સીઓને ચૂકવવામાં આવી રહ્યા છે, જે ગંભીર ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. અટકાયતને લઈ રોષની લાગણીઅધિકારીઓ અને સંડોવાયેલી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તેઓ રજૂઆત કરવા માંગતા હતા. અટકાયતની ઘટનાને લઈને કર્મચારીઓ અને સામાજિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. જ્યારે આ મુદ્દો હવે રાજકીય અને પ્રશાસકીય સ્તરે ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:32 pm

લુણાવાડા કોલેજમાં 9 અગ્નિવીરોનું સ્વાગત અને સન્માન:સાત મહિનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા 9 અગ્નિવીરો

લુણાવાડાની શ્રી પી.એન. પંડ્યા આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં 9 અગ્નિવીરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. કોલેજની NCC યુનિટ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અગ્નિવીરોએ સાત મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા. આ કાર્યક્રમ NCC યુનિટના કમાન્ડર કેપ્ટન ડો. આઈ.વી. ડામોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમાં કોલેજના પ્રમુખ અનિલ પંડ્યા, મંત્રી હરિ પટેલ, પ્રિન્સિપલ અલ્પેશ પંડ્યા, કોલેજનો સ્ટાફ, NCC કેડેટ્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેપ્ટન ડો. આઈ.વી. ડામોરે જણાવ્યું કે, પી.એન. પંડ્યા કોલેજની NCC યુનિટ દર વર્ષે 10થી વધુ અગ્નિવીરોને ભારતીય સેનામાં મોકલે છે. અત્યાર સુધીમાં આશરે 125 NCC કેડેટ્સને સંરક્ષણ ક્ષેત્રમાં જોડાવા માટે માર્ગદર્શન અને તાલીમ અપાઈ છે. આવા કાર્યક્રમો NCC કેડેટ્સને દેશસેવા માટે પ્રેરણા આપે છે. કાર્યક્રમના અંતે, કોલેજ પરિવારે તમામ અગ્નિવીરોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:28 pm

પતિને આંખની દવા નાખ્યા પછી પરણિતા ગુમ:અમદાવાદ પોલીસ કમિશનરના બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાંથી રસોઈયાની પત્ની ભેદી સંજોગોમાં ગાયબ

અમદાવાદ પોલીસ કમિશનરના સેકટર 1 ખાતેના બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા રસોઈયાની 26 વર્ષીય પત્ની છેલ્લા ચાર દિવસથી ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતાં સેકટર 7 પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે. પતિને આંખમાં દવા નાખી પુત્ર પણ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા પછી પરણિતા એકાએક ગુમ થઈ જતા પોલીસે આસપાસના સીસીટીવી અને સીડીઆર મેળવવાની કવાયત પણ શરૂ કરી છે. પોલીસ કમિશનરના બંગલોના સર્વન્ટ ક્વાર્ટસમાં રહેતી મહિલા ગુમવિશ્વસનીય પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ પોલીસ કમિશનરનો સેકટર 1 પ્લોટ નંબર 101/2માં બંગલો આવેલો છે. અહીં રસોઈયા તરીકે મૂળ પાટણના વડલી ગામના ભરતભાઇ પ્રજાપતી છેલ્લા પંદરેક વર્ષથી રસોઈયા તરીકે નોકરી કરે છે. ભરતભાઈના પરિવારમાં પત્ની સરોજ (ઉં.26) અને આઠ વર્ષનો પુત્ર છે. પ્રજાપતિ પરિવાર અમદાવાદ પોલીસ કમિશનરના બંગલો ખાતેના સર્વન્ટ ક્વાર્ટસમાં રહે છે. દિવાળી દરમિયાન ફટાકડાના કારણે ભરત ભાઈની આંખને નુકશાન પહોંચ્યું હતું. જેની સારવારના ભાગરૂપે ભરતભાઈને દરરોજ આંખમાં દવાના ટીપાં નાખવા પડી રહ્યા છે. ત્યારે ગત તા. 13મી ડિસેમ્બરની રાતે આઠેક વાગ્યાના અરસામાં ભરત ભાઈને તેમની પત્ની સરોજબેને આંખમાં ટીપાં નાખી આપ્યા હતા. પતિએ આસપાસના વિસ્તારમાં પત્નીની શોધખોળ આદરીબાદમાં સરોજ ઘરના કામકાજ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ભરતભાઈ ગાઢ નિંદ્રામાં પોઢી ગયાં હતા. બાદમાં રાત પડતા સરોજબેન પણ તેમના પુત્રને લઈ સૂઈ ગયાં હતા. ત્યારે રાતના બારેક વાગે ભરતભાઈ નિંદ્રામાંથી જાગ્યા તો પુત્ર ઘસઘસાટ સૂઈ ગયેલો જોવા મળ્યો હતો, પરંતુ સરોજબેન ક્યાંય જોવા મળ્યા ના હતા. ઘરમાંથી સરોજબેનનું પર્સ પણ ગાયબ હતું. આથી ભરતભાઈએ બંગલો તેમજ આસપાસના વિસ્તારમાં પત્ની સરોજની ઘણી શોધખોળ આદરી હતી. પોલીસે મહિલાની ઓળખ થાય તો જાણ કરવા અનુરોધ કર્યો સવાર પડવા સુધી સરોજબેનનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે ભરતભાઈએ સેકટર 7 પોલીસ મથકમાં પત્ની સરોજ ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે આસપાસ વિસ્તારના સીસીટીવી તેમજ સીડીઆર મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુમાં પોલીસ સૂત્રોએ કહ્યું કે, સરોજબેને બ્લ્યુ કલરનો ડ્રેસ અને કાળા કલરનું સ્વેટર પહેર્યું છે. જેમના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં 'SAROJ' નામ કોતરાવેલ (ટેટૂ) છે. જેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ અંગે કોઈને માહિતી કે પત્તો મળે તો તાત્કાલિક સેક્ટર- 7 પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:27 pm

પાટણની જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોકડ્રિલ:ફાયર વિભાગની ટીમે માત્ર 15 મિનિટમાં આગ બુઝાવી, અંદર ફસાયેલા 5 વ્યક્તિઓને બહાર કાઢ્યાં

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આગ લાગવાની અને દર્દીઓ ફસાયા હોવાની સ્થિતિમાં બચાવ કામગીરીની તૈયારીઓ ચકાસવા માટે આ મોકડ્રિલ યોજાઈ હતી. ICU અને NICU જેવી સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવતા હોવાથી તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું હતું. પાટણ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે. મોદીએ માહિતી આપી હતી કે, બપોરે 3:05 વાગ્યે હોસ્પિટલના ICU રૂમમાં આગ લાગી હોવાનો અને કેટલાક લોકો ફસાયા હોવાનો કોલ મળ્યો હતો. આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું દર્શાવાયું હતું. કોલ મળતાની સાથે જ હોસ્પિટલના સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધુમાડાને કારણે કેટલાક દર્દીઓ અને વોર્ડબોય બેહોશ થઈને ફસાયા હતા. આ સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ મિની ફાયર ટેન્ડર (2500 લીટર ક્ષમતાવાળું) અને ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમમાં સુરેશ ઠાકોર, કુણાલ ચૌધરી અને વિકાસ દેસાઈ સહિતના ફાયરમેનો અને ટ્રેનિંગ જવાનો સામેલ હતા. ફાયરમેનોએ ઝડપી કામગીરી કરીને ઓછા સમયમાં આગ બુઝાવી દીધી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુલ 5 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થતો હતો. ત્રણ વ્યક્તિઓને સ્ટ્રેચર દ્વારા, એક વ્યક્તિને ફાયરમેને લિફ્ટિંગ કરીને અને રૂમમાં ફસાયેલા અન્ય એક વ્યક્તિને 'ચેયર નોટ' (દોરડાની ખાસ પદ્ધતિ) દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. તમામ ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે. મોદીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કામગીરી 3:05 વાગ્યે શરૂ થઈ અને 3:20 વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ ઘટનાને અંતે મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. મોકડ્રિલ સમયે જનતા હોસ્પિટલના મનસુખલાલ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:21 pm

બોટાદમાં બે દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભ:210 દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

બોટાદ જિલ્લા રમતગમત કચેરી દ્વારા બે દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાકુંભમાં મનોદિવ્યાંગ અને શ્રવણમંદ સહિત કુલ 210 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત, સમાજમાં રહેતા મનોદિવ્યાંગ અને શ્રવણમંદ બાળકો પણ રમતગમતમાં ભાગ લઈ શકે તે હેતુથી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. બોટાદ શહેરની આસ્થા મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપતી સંસ્થા ખાતે આ બે દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે વોક, દોડ, બોસી અને ગોળાફેક સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતો દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાલીઓએ પણ પોતાના બાળકોને સામાન્ય બાળકોની જેમ રમતા જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને સરકારના આ અભિગમને આવકાર્યો હતો. આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, આવા આયોજનોથી બાળકોમાં અદભુત આનંદ અને ખુશી જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:20 pm

બે વૃદ્ધ મહિલાને ઢસડનારને ફરજ પરથી દુર કરાઈ:અડાજણમાં ભિક્ષુકો સાથે અમાનવીય વર્તન કરનાર ભિક્ષુક ગૃહની મહિલાકર્મી સામે 24 કલાકમાં જ કાર્યવાહી

સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી દરમિયાન બે લાચાર વૃદ્ધ મહિલા પર અત્યાચાર ગુજારનાર ભિક્ષુક ગૃહની મહિલા કર્મચારી દિવ્યા સોનવનેને આખરે ફરજ પરથી છુટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી સરકારી કામગીરીમાં અમાનવીય વર્તન ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ વહેતો થયો છે. શું હતી સમગ્ર ઘટના?15 ડિસેમ્બરના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીમહાકાલેશ્વર મહાદેવ સાઈનાથ પાવનધામ શનિદેવ મંદિરની બહાર ભિક્ષુકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉમદા આશય સાથે ભિક્ષુક ગૃહની ટીમ અડાજણ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ કામગીરી દરમિયાન ટીમમાં સામેલ મહિલા કર્મચારી દિવ્યા સોનવનેએ સંયમ ગુમાવ્યો હતો. વૃદ્ધા સાથે થયેલી નિર્દયતા CCTVમાં કેદસામે આવેલા હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, દિવ્યા સોનવનેએ મંદિર બહાર બેસેલી એક અશક્ત વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચી હતી. આટલેથી ન અટકતા, તેમણે વૃદ્ધાને જોરથી ધક્કો મારી વાનમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ બીજી વૃદ્ધ મહિલા સાથે પણ આવું જ વર્તન કરવામાં આવ્યું હતું. તેને ઉઠ યહાં સે કહીને બૂમો પાડી, તેના કપડાં ખેંચીને રસ્તા પર ઢસડવામાં આવી હતી. 24 કલાકની નોટિસ બાદ લેવાયો નિર્ણયઆ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસહાય વૃદ્ધો પ્રત્યે આવું ક્રૂર વર્તન કરનાર કર્મચારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી હતી. આ મામલે ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જ ઓફિસર જીગ્નેશ ચૌધરીએ તાત્કાલિક નોંધ લીધી હતી. તંત્ર દ્વારા દિવ્યા સોનવનેને 24 કલાકની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમના આ અમાનવીય વર્તન અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, સમય મર્યાદા પૂર્ણ થવા છતાં સંતોષકારક જવાબ ન મળતા અને ફૂટેજમાં સ્પષ્ટપણે હિંસા દેખાતી હોવાથી, ઇન્ચાર્જ ઓફિસર દ્વારા તેમને તાત્કાલિક અસરથી ફરજ પરથી છુટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:20 pm

પુત્રના પદવીદાન સમારોહમાં આવેલા પિતાનું ગભરામણ થયા બાદ મોત:પારુલ યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપવા હૈદ્રાબાદથી આવ્યા હતા

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ગઈકાલે યોજાયેલા પદવીદાન સમારોહમાં ભાગ લેવા હૈદરાબાદથી આવેલ આધેડ રસ્તામાં ગભરામણ થવાથી સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો. આ અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પદવીદાન સમારોહમાં હાજરી આપવા હૈદ્રાબાદથી આવ્યા હતામળતી વિગત મુજબ હૈદરાબાદ તેલંગાણાના મણિપુરી કોલોનીમાં રહેતા 53 વર્ષના જગજીવન વિષ્ણુમૂર્તિ નારીજુ ગત રોજ વડોદરા નજીકની પારુલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભાગ લેવા માટે વડોદરા આવ્યા હતા. કાર્યક્રમ બાદ રાત્રે 12:30 વાગ્યે વાઘોડિયા બ્રિજ નજીક શક્તિ હોટલ પાસેથી પસાર થતા હતા. ગભરામણ બાદ વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુંદરમિયાન તેમને અચાનક ગભરામણ થવા લાગી હતી. જેના કારણે તેમને પાણીગેટ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર થાય તે પહેલા જ દમ તોડી દીધો હતો.આ મામલે કપુરાઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હૈદ્રાબાદથી આવેલો પરિવાર વાઘોડિયા રોડ પર હોટલમાં રોકાયો હતોઆ અંગે કપુરાઇ પોલીસે જણાવ્યું હતું કે, વિધાર્થીના વાલી ગત 15 તારીખે વાઘોડિયા રોડ પર આવેલ શક્તિ હોટેલ બુક કરી હતી. તેઓએ પારુલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં હાજરી અપાઈ પરિવાર સાથે હોટેલ પર આવ્યા હતા. ત્યાં તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા પાણીગેટ ખાતે ખાનગી હોસ્પીટલમાં લઈ જતા મૃત જાહેર કર્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું પી એમ કરી હાલમાં મૃતદેહને અમદાવાદથી બાય પ્લેન મોકલવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:18 pm

ગઢડામાં કોળી સમાજના આગેવાન પર ખોટી ફરિયાદ:એટ્રોસિટી કેસ રદ કરવા અને આરોપી સામે કાર્યવાહીની માંગ

ગઢડા શહેરમાં કોળી સમાજના આગેવાન ગજેન્દ્રભાઈ ગોહિલ અને તેમના બે ભાઈઓ સામે દાખલ થયેલી એટ્રોસિટીની ખોટી ફરિયાદના વિરોધમાં સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોળી સમાજના સભ્યોએ આ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. કોળી સમાજના આગેવાનો પર ઋત્વિક રાઠોડ નામના શખ્સે કાયદાનો દુરુપયોગ કરીને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમાજનું કહેવું છે કે આ ફરિયાદ ખોટી અને પાયાવિહોણી છે. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફરિયાદ કરનાર ઋત્વિક રાઠોડ સામે અગાઉ દારૂ, મારામારી અને ફરજમાં રૂકાવટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. આવા શખ્સ દ્વારા કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે. કોળી સમાજે માંગ કરી છે કે આગેવાનો સામેની ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે. આ ઉપરાંત, ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા ઋત્વિક રાઠોડ સામે તડીપાર અને પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય તપાસ નહીં થાય અને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે, તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:15 pm

આપનું પ્રતિનિધિ મંડળ CMને મળ્યું:ભાજપ સરકાર ખેડૂત વિરોધી, કિસાનોનું શોષણ થઈ રહ્યું છે: આપ નેતા ઈસુદાન ગઢવી

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે આજે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 11 મુદ્દાઓની વિસ્તૃત રજૂઆત કરીAAPના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોના 11 મુદ્દાઓની વિસ્તૃત રજૂઆત કરી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે પાર્ટી દ્વારા કિસાન હેલ્પલાઇન નંબર જાહેર કર્યા બાદ રાજ્યની 400થી વધુ APMCમાંથી ખેડૂતોની ફરિયાદો મળી છે. કડદા પ્રથા સહિતના મુદ્દાઓને લઈને સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયતો યોજાઈ છે. તેમજ 8,000થી વધુ ગામડાઓમાં ‘કિસાન ન્યાય પંચાયત’ કરીને હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું છે. 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરી 11 મુદ્દાઓ પર સમર્થન આપ્યુંAAPના જણાવ્યા અનુસાર 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને 11 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું છે. મુખ્ય માંગણીઓમાં કડદા પ્રથા નાબૂદ કરવી, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર દાખલ કરાયેલા કેસો પરત ખેંચવા, તથા પંજાબની AAP સરકારની જેમ પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર ચૂકવવાની માંગ સામેલ છે. ઈસુદાન ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મુખ્યમંત્રી ખેડૂતોના 11 મુદ્દાઓ પર સકારાત્મક નિર્ણય લેશે. સાથે જ ચેતવણી આપતા કહ્યું કે જો માંગોને સકારાત્મક રીતે લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં જનઆંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:13 pm

AMCના કર્મીએ માનવતા મહેકાવી:સિંધુ ભવન રોડ પર શોપિંગ ફેસ્ટિવલમાં મહિલાનું ગુમ થયેલું સોનાનું મંગળસૂત્ર પર કર્યું

અમદાવાદના સિંધુભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન મહિલાનું ખોવાયેલું સોનાનું મંગળસૂત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીને મળી આવ્યું હતું. જે મંગળસૂત્ર મૂળ માલિકને પરત આપવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલમાં હજારો લોકોની વચ્ચે ખોવાયેલું અંદાજે રૂ. 2.56 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપી ઈમાનદારી અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા જતાં અંગળસૂત્ર મળ્યુંઅમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સવારે હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (ઉત્તર પશ્ચિમ ઝોન)ના કર્મચારી નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયા સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે વિસ્તારમાં નીકળ્યા હતા. આ દરમિયાન સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.56 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. બંને કર્મચારીઓએ ક્ષણભર પણ વિલંબ કર્યા વિના આ બાબતની જાણ થલતેજ સબ ઝોનના આસી. મ્યુનિસિપલ કમિશનર હાર્દિક ઠાકોરને કરી હતી. સીસીટીવીની તપાસમાં મૂળ માલિક ન મળ્યાંહાર્દિક ઠાકોરે તરત જ આ કિંમતી વસ્તુના સાચા માલિકને શોધવા માટે તાત્કાલિક સૂચના આપી હતી. આ ફેસ્ટિવલ સ્થળના સી.સી.ટી.વી. કેમેરાની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ મંગળસૂત્રના મૂળ માલિક સુધી પહોંચવું શક્ય બન્યું નહોતું. ત્યારબાદ હેલ્પ ડેસ્કના રજીસ્ટરમાં મળેલ મંગળસૂત્ર અંગેની સંપૂર્ણ નોંધ નિલકંઠપુરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી. રાતે આશરે 12 વાગ્યાના સમયે મંગળસૂત્ર ગુમાવનાર મૂળ માલિક હેલ્પ ડેસ્ક પર પહોંચ્યા હતા. તેમણે મંગળસૂત્રના જુના ફોટોગ્રાફ્સ તેમજ ખરીદીનો બિલ રજૂ કરી પોતાની ઓળખ સાબિત કરી હતી. માલિકે બન્ને કર્મીચારીનો આભાર માન્યોજરૂરી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ મંગળસૂત્ર સંપૂર્ણ સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું. કિંમતી મંગળસૂત્ર પાછું મળતાં મૂળ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના શહેરી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓની ઈમાનદારી, જવાબદારી અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:11 pm

ટેનિસ કોર્ટના કચરાના ઢગલામાં આંતર કોલેજ ટુર્નામનેટ કરવી પડી:TPL ટેનિસ પ્રીમિયર લીગ બાદ સાફ સફાઈ કરવાનું ભૂલાયું, યુથ કોંગ્રેસે કહ્યું- જવાબદાર સામે પગલા લેવામાં આવે

ગુજરાત યુનિવર્સિટીની લાલિયાવાડીનો વીડિયો વાઇરલ થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલું ટેનિસ કોર્ટ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. TPL ટેનિસ પ્રીમિયર લીગ બાદ સાફ સફાઈ કરવાનું અધિકારીઓ ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. ટેનિસ પ્રીમિયર લીગ પૂરી થયાના બે દિવસ બાદ પણ સાફ સફાઈ ન થતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. યોગ્ય સમયે સાફ સફાઈ ન થતા ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ટેનિસ ટુર્નામેન્ટ કચરાના ઢગલામાં કરવી પડી હતી. જેનો વીડિયો વાઇરલ કરીને યુથ કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા કુલપતિને રજૂઆત કરી છે. બે દિવસ સુધી કચરાના ઢગલાનું સામ્રાજ્યગુજરાત યુનિવર્સિટીના ટેનિસ કોર્ટમાં TPL ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે વર્લ્ડમાં ખેલાડીઓ અમદાવાદ આવ્યા હતા અને TPLની ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા. જે ટુર્નામેન્ટ 9થી લઈને 14 ડિસેમ્બર સુધી ચાલી હતી. 14 ડિસેમ્બરે ફાઇલ મેચ પૂર્ણ થયા બાદ 2 દિવસ અધિકારીઓ કે આયોજકોએ સાફ સફાઈને લઈને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું છે. જે ટેનિસ કોર્ટ કે જ્યાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય છે અને ટુર્નામેન્ટ રમતા હોય છે તે જગ્યાએ બે દિવસ સુધી કચરાના ઢગલાનું સામ્રાજ્ય રહ્યું હતું. જેના કારણે ખેલાડીઓ પરેશાન થઈ ગયા હતા. અધિકારીઓએ સાફ સફાઈ કરવાનું વિચાર્યું નહીંગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થવાની હતી. છતાં પણ અધિકારીઓએ સાફ સફાઈ કરવાનું વિચાર્યું નહીં. જે ખેલાડીઓ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીમાં રિપ્રેશન્ટ કરવાના છે તે વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ માટે સાફ સફાઈ કરવાની તસ્દી પણ જવાબદારી અધિકારીઓ દ્વારા લેવામાં આવી નહીં. વીડિયો વાઇરલ થયો તેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે વહેલી સવારે જે વિદ્યાર્થીઓ ટુર્નામેન્ટ રમવા પહોંચ્યા તેમણે કચરાના ઢગલામાં ફેરવાયેલા ટેનિસ કોર્ટમાં રમાડવામાં આવ્યા હતા. જેને લઈને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. કુલપતિને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા અને ખાનગી એન્જસીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:10 pm

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાર્ટ-2 મધ્ય ગુજરાતમાં:20 ડિસેમ્બર ફાગવેલથી શરૂ, 6 જાન્યુઆરીએ કંબોઈ ધામમાં સમાપન; ‘લોકોને રસ્તા પર લાવી કોમનવેલ્થની મેજબાની નહીં ચલાવી લઈએ’

ગુજરાત કોંગ્રેસે જન આક્રોશ યાત્રા પાર્ટ-2ની જાહેરાત કરી છે. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ હવે મધ્ય ગુજરાતમાં જન આક્રોશ યોજવા જઈ રહી છે. આગામી 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ યાત્રા યોજવાની છે. કોંગ્રેસ જન આક્રોશ યાત્રા પાર્ટ-2ની 20 ડિસેમ્બરે ફાગવેલથી શરૂઆત થશે અને 6 જાન્યુઆરીએ દાહોદના કંબોઈ ધામમાં તેનું સમાપન કરવામાં આવશે. કોંગ્રેસ આ યાત્રામાં મનરેગા કૌભાંડ, નલ સે જલ યોજનામાં કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના મુદ્દાઓેથી ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદમાં થતી ડિમોલિશનની કામગીરીને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. લોકોને ઘરનું ઘર આપ્યા વગર જો ડિમોલિશન કરવામાં આવશે તો કોંગ્રેસે વિરોધ કરવાની તૈયારી દર્શાવી છે. 7 જિલ્લા, 3 મનપા, 55 તાલુકા, 37 પાલિકામાંથી પસાર થશેઆ જન આક્રોશ યાત્રા 7 જિલ્લા, ત્રણ મહાનગરપાલિકા, 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી ભ્રમણ કરવાની છે. અંદાજે 1400 કિલોમીટર સુધી આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરશે. ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છતાં શાળાઓમાં મેદાનોની યોગ્ય વ્યવસ્થા નથીઅમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટેની મેજબાની મળી ગઈ છે. જેના માટે મેદાન બનાવવા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જેને લઈને પણ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં શાળાઓમાં મેદાનોની કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શાળાઓમાં મેદાન અને સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવેકરોડો રૂપિયાનો ખર્ચ પબ્લિસિટી પાછળ કરતી સરકાર ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સ લેવલે આગળ વધારવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શાળાઓમાં મેદાન અને સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમજ ડિમોલિશન કરતાં પહેલા લોકોને ઘરનું ઘર ન આપતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે કોમનવેલ્થના નામે કોઈનું ઘર તોડીને લોકોને રસ્તા પર લાવીને કોમનવેલ્થ ગેંમ્સની મેજબાની જરાય પણ ચલાવી નહીં લેવાય. ભાજપના 3 દાયકાના શાસનમાં ભ્રષ્ટાચાર, ગેરવહીવટ: ચાવડાગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જનતા પોતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે ગુજરાતની તિજોરીમાં જમા કરાવે છે, દર વર્ષે આ પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે. જે ગુજરાતમાં ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, સરકારનો ભેદભાવ લોકોની જે તકલીફ છે તેને અમે વાચા આપી રહ્યા છીએ. પહેલા ચરણમાં 1300 કિલોમીટર સુધી યાત્રાએ ભ્રમણ કર્યુંજનતાનો અવાજ બનવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં યાત્રા ફરી હતી. પહેલા ચરણમાં 1300 કિલોમીટર સુધી યાત્રાએ ભ્રમણ કર્યું હતું. આ યાત્રામાં બેરોજગારી, પીવાના પાણીની સમસ્યા સહિતના મુદ્દેઓ ઉઠાવવામાં આવ્યા હતા. ‘સરકારનો અને પોલીસનો ડર હોવાથી લોકો સામે આવતા નહોતા’બીજા ચરણની યાત્રાને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રોડ અને રસ્તાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા સહિતના મુદ્દે લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા નહોતા. સરકારનો અને પોલીસનો ડર હોવાથી લોકો સામે આવતા નહોતા. દારૂ અને ડ્રગ્સના મુદ્દે તેમજ અન્ય મુદ્દાઓને લઈને લોકો હવે ખુલીને બહાર આવ્યા છે. જેથી બીજા ચરણની શરૂઆત 20 ડિસેમ્બરથી શરૂ કરવા જઈ રહ્યા છીએ જે 6 જાન્યુઆરી સુધી ચાલવાની છે. ‘20 ડિસેમ્બરે શરૂઆત અને 6 જાન્યુઆરીએ સમાપન’મધ્ય ગુજરાતથી બીજા ચરણની યાત્રાની શરૂઆત કરીએ છીએ. જે 20 ડિસેમ્બરે ફાગવેલથી શરૂ થશે અને 6 જાન્યુઆરીએ દાહોદના કંબોઈ ધામમાં તેનું સમાપન કરવામાં આવશે. ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં યાત્રા ભ્રમણ કરવાની છે. ‘મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટર યાત્રા ભ્રમણ કરશે’વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 7 જિલ્લા, 3 મહાનગરપાલિકા, 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી આ યાત્રા ભ્રમણ કરવાની છે. 1400 કિલોમીટર સુધીની આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરવાની છે. મધ્ય ગુજરાતના લોકોની ફરિયાદો, પ્રશ્નો, સમસ્યાઓ, ભ્રષ્ટાચારને લઈને જનતાનો અવાજ બનીશું. ‘આદિવાસી વિસ્તારમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાડ થયા’આદિવાસી વિસ્તારમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાડ થયા છે. તેમાં હજુ પણ કેટલાક લોકો જાહેરમાં બહાર ફરી રહ્યા છે. ભાજપના હોદ્દેદારો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નળ સે જળ યોજના, પીવાના પાણીની સમસ્યા ખેડૂતની સમસ્યા સહિતના મુદ્દે તેમના સુધી પહોંચીશું. દર વર્ષે વડોદરા જેવા શહેર વરસાદના કારણે બરબાદ થઈ રહ્યા છે તેમના અવાજમાં ભાગીદાર બનીશું. ‘રાજકીય લાભ માટે નહીં પણ ગુજરાતના લોકોની તકલીફ, સમસ્યા અને પીડા માટે યાત્રા’પહેલા ચરણની જન આક્રોશ યાત્રાને કેટલો ફાયદો થયો તેને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જન આક્રોશ યાત્રા પહેલા વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું તેનું વળતર યોગ્ય મળી રહે તે માટે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી. કિસાન યાત્રા સમયે કોઈ પણ ચૂંટણી નહોતી. આજે પણ કોઈ ચૂંટણી નથી અને આજે પણ કોઈ રાજકીય લાભ લેવાનો નથી. કોઈ રાજકીય લાભ માટે નહીં પરંતુ ગુજરાતના લોકોની જે તકલીફ, સમસ્યા અને પીડા છે તેને બુલંદ કરવા માટે યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ‘જન આક્રોશ યાત્રાથી ખુલીને લોકો ભ્રષ્ટાચાર સામે લડવા તૈયાર થયા’સરકારમાં બેઠેલા લોકોનો જે ભ્રષ્ટાચાર છે તેને બુલંદ કરવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ખુલીને લોકો ભ્રષ્ટાચાર સામે લડવા તૈયાર થયા છે. મહિલાઓ ડ્રગ્સ અને દારૂ મુદ્દે રસ્તા પર ઉતરી લડવા માટે તૈયાર થઈ હતી. જન આક્રોશ યાત્રાથી ખુલીને લોકો બોલતા થયા છે અને પોતાના હક માટે લડતા થયા છે. ગાંધીનગર કૂચ કરવાની આવશે તો પણ લોકો ખુલીને સરકાર સામે લડવા માટે તૈયાર થયા છે. જે આ યાત્રાની સફળતા છે. આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે તો લોકો પોતાના અવાજ માટે બોલતા થશે. પોતાના અને ગુજરાત માટે લોકો લડતા જોવા મળશે. ‘કરોડોનો ખર્ચ પબ્લિસિટી માટે પણ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી’કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા લોકો ભાગ લઈ શક્યા છે અને આવનાર સમયમાં કેટલા લોકો ભાગ લઈ શકવાના છે તેના માટે આજે કોઈ વ્યવસ્થા નથી. શાળાઓ અને કોલેજોમાં વર્ષોથી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. અનેક ઉમેદવારો જે લાયકાત ધરાવે છે છતાં પણ યોગ્ય સમયે ભરતી કરવામાં આવી નથી. ઘણી એવી શાળાઓ છે જ્યાં પૂરતા મેદાન જ નથી. કરોડો રૂપિયાનો ખર્ચ પબ્લિસિટી માટે કરવામાં આવે છે તેની સામે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. ‘કોમનવેલ્થમાં ગુજરાતના કેટલા લોકો ભાગ લેશે તેના માટે કોઈ વ્યવસ્થા કરી નથી’ત્રણ દાયકા બાદ પણ તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. ઘણી એવી ટુર્નામેન્ટ છે જેમાં ગુજરાતનો યુવાન પૂરતી ટ્રેનિંગ ન મળવાથી પાછળ રહી જાય છે. કોમનવેલ્થમાં ગુજરાતમાં કેટલા લોકો ભાગ લેશે તેના માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી. તમામ શાળાઓને સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી કરવામાં આવે અને જ્યાં પણ મેદાન નથી ત્યાં મેદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને બજેટ સાચા અર્થમાં ખર્ચ કરવામાં આવે તેવી અમારી માગ છે. ‘કોઈને રસ્તા પર લાવશે તો કોંગ્રેસ વિરોધ કરશે’કોમનવેલ્થના નામે જે ડિમોલિશન થઈ રહ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. કોમનવેલ્થના નામે કોઈનું ઘર તોડીને લોકોને રસ્તા પર લાવીને કોમનવેલ્થ ગેમ્સની મેજબાની જરાય પણ ચલાવી નહીં લેવાય. ઘરની સામે ઘર અને દુકાનની સામે દુકાન આપવા અમારી માંગણી છે. જો કોઈને રસ્તો પર લાવવામાં આવશે તો કોંગ્રેસ તેનો વિરોધ કરશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:10 pm

આનંદનગર પો. સ્ટેશનમાં પરિવારની પોલીસ સાથે ઝપાઝપી:અરજીના કામે જવાબ લખાવવા આપેલા ત્રણ લોકોએ પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરતા પોલીસ ફરિયાદ

આનંદનગરમાં આવેલી ચોકી ખાતે ફરજ બજાવતા PSI, હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસકર્મી પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કર્યો હતો.અરજીના જવાબ માટે બોલાવેલા યુવકે પત્ની અને માતા સાથે મળીને પોલીસ સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી.આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. માતા અને પત્ની સાથે આવેલા યુવકે પોલીસ સાથે માથાકૂટ કરીઆનંદનગર પોલીસ સ્ટેશન હેઠળની વ્રજનગરી આવાસ પોલીસ ચોકી ખાતેના PSI વાય.આર. ચંદુ ફરજ બજાવે છે.PSI ચંદુ સાથે એક હેડ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસકર્મી સહિતનો સ્ટાફ બે અરજીઓની તપાસ કરી રહ્યો હતો. આ તપાસના સંદર્ભમાં આકાશભાઈ પરમારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આકાશ તેની માતા વિદ્યા પરમાર અને પત્ની મનીષા પરમાર સાથે પોલીસ ચોકી પર આવ્યા હતા.જોકે, પૂછપરછ શરૂ થાય તે પહેલાં જ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. આકાશ પરમારે જોર જોરથી બોલવાનું અને બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. પોલીસે વીડિયો બનાવવાનું શરૂ કરતા યુવકે ઝપાઝપી કરીPSI એ મોબાઈલમાં વિડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે આકાશ પરમારે તેમને ધક્કો મારીને ઝપાઝપી કરી હતી.વચ્ચે પડેલા હેડ કોન્સ્ટેબલને પણ તેમણે ડાબા હાથની કલાઈના ભાગે નખ મારીને ઈજા પહોંચાડી હતી.વિધ્યા અને મનીષાએ પણ ગાળાગાળી કરી અને મહિલા પોલીસકર્મી સાથે પણ બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. હુમલો કર્યા બાદ, આ ત્રણેય આરોપીઓ પોલીસ ચોકીમાંથી બહાર નીકળી ગયા હતા અને બહાર પાર્ક કરેલી હેડ કોન્સ્ટેબલની સ્પ્લેન્ડર બાઈકને ધક્કો મારીને પાડી દીધી હતી.જેનાથી બાઈકને નુકસાન થયું હતું.ત્રણેય કારમાં બેસીને જાહેરમાં પોલીસકર્મીઓને ધમકી આપીને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે ફરજ પર હાજર રહેલા PSI દ્વારા આકાશભાઈ ભરતસિંહ પરમાર, વિધ્યાબેન પરમાર અને મનીષાબેન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:08 pm

પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાની સરકારને રજૂઆત:સંતાનોના લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાક કરવા હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માગ

પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ સંતાનોના લગ્ન પહેલા માતા-પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત બનાવવાની માગ સાથે હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવા બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. વલ્લભ કાકડિયા લાંબા સમયથી સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આગેવાન તરીકે ઓળખાય છે અને પરિવાર તથા સમાજને અસર કરતી સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોરતા રહ્યા છે. માતા-પિતાની જાણ બહાર દીકરા-દીકરીઓ લગ્ન કરે છેરજૂઆતમાં જણાવાયું છે કે, વર્તમાન સમયમાં કાયદાકીય ઉંમર પૂર્ણ કરેલા દીકરા-દીકરીઓ ઘણી વખત માતા-પિતાની જાણ બહાર લગ્ન કરી લે છે. આવા સંજોગોમાં ખાસ કરીને દીકરીઓ ઉતાવળભર્યા નિર્ણયના કારણે ખોટી જગ્યાએ ફસાઈ જાય છે અને કેટલીક ઘટનાઓમાં લવ જેહાદનો શિકાર પણ બને છે. પરિણામે દીકરીનું જીવન તેમજ તેના માતા-પિતાનું સામાજિક અને માનસિક જીવન બરબાદ થતું હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માગઆવી ગંભીર પરિસ્થિતિઓને અટકાવવા માટે હિન્દુ મેરેજ એક્ટમાં એવી જોગવાઈ કરવી જરૂરી હોવાનું વલ્લભ કાકડિયાએ જણાવ્યું છે કે, સંતાનોના લગ્ન પહેલાં માતા તથા પિતાની લેખિત પૂર્વસંમતિ ફરજિયાત બનાવવામાં આવે. જરૂર જણાય તો આ માટે ગુજરાત વિધાનસભામાં બિલ પસાર કરીને કાયદામાં યોગ્ય સુધારો કરવામાં આવે તેવી માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:05 pm

ગાંધીનગરની સરકારી શાળાને 'ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025':દેશની 720 સ્કૂલને પછાડી જીવરાજના મુવાડા પ્રા.શાળા પ્રથમ ક્રમે, 3 લાખનું ઇનામ મળ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ જતન અને નવીન શિક્ષણ પદ્ધતિમાં ગુજરાતની સરકારી શાળાઓ રાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચી રહી છે. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025’ એનાયત કરવામાં આવ્યો છે. દેશભરની 720 શાળાઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતની આ શાળાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-2025’ એનાયત કરવામાં આવ્યો છે.આ સિદ્ધિ પાછળ શાળાના 11 અનોખા અને પર્યાવરણલક્ષી વિચારો જવાબદાર છે. મુંબઈ ખાતે આયોજિત પ્રેઝન્ટેશનમાં શાળાના વિદ્યાર્થીઓ મીત ઠાકોર, યામી ઠાકોર અને જીગ્નેશ ઝાલાએ જ્યુરી સમક્ષ અત્યંત પ્રભાવી રજૂઆત કરી હતી. શાળા દ્વારા રજૂ કરવામાં આવેલા હોમ મેડ જીવામૃત, પેપર રિસાયકલિંગ, અર્થેન પોર્ટ એસી (માટીના ઘડાનું એસી), પોર્ટેબલ બાયોગેસ પ્લાન્ટ અને સ્માર્ટ એનર્જી ઓડિટ જેવા 11 પ્રોજેક્ટના અમલીકરણ માટે સંસ્થા દ્વારા રૂ. 3 લાખનું પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું છે. જીવરાજના મુવાડા શાળાનું કેમ્પસ 12000 થી વધુ વૃક્ષોથી હરિયાળું છે. અહીં પર્યાવરણ જતનની સંસ્કૃતિ એવી છે કે બાળકો જન્મદિવસ પર ચોકલેટને બદલે છોડ ભેટ આપે છે અને તેઓ ભણે ત્યાં સુધી તેનું જતન પણ કરે છે. શાળામાં વેસ્ટમાંથી બેસ્ટના સિદ્ધાંત પર ફાઈટર પ્લેન, સેટેલાઈટ અને હાઈડ્રોપોનિક સિસ્ટમ જેવા મોડેલ્સ બનાવવામાં આવ્યા છે. અગાઉ 2024માં રાજ્ય સરકાર દ્વારા કલાઇમેટ ચેન્જ એવોર્ડ મેળવનાર આ શાળા હવે ‘પ્લાસ્ટિક ફ્રી વિલેજ’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.આ એવોર્ડ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની સાથે અરુણાચલ પ્રદેશ અને પોંડીચેરીની શાળાઓ પણ અંતિમ તબક્કામાં પસંદ થઈ હતી. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય બિપીન ગોસ્વામી અને સમગ્ર શિક્ષકગણ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:04 pm

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વધુ અકસ્માત:ભરૂચમાં લગ્નમાંથી પરત ફરતા પરિવારની રિક્ષા નાળાની દીવાલ સાથે અથડાઈ, નાળામાં ફેંકાતા સગીરનું મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ કિયા ગામના પાટિયા નજીક એક વધુ ગમખ્વાર અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી એક રિક્ષા નાળાની દીવાલ સાથે ભટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોને ઇજાઓ પહોંચી છે, જ્યારે પટકાઈને નાળામાં ફેંકાઈ જતા 15 વર્ષીય સગીરનું મોત નિપજ્યું છે. ભરૂચ જિલ્લાના પાલેજથી વડોદરા જિલ્લાના કરજણ તરફ જતી રિક્ષામાં રીક્ષા ચાલક સહિત તેના પરિવારના 5 સભ્યો બેઠેલા હતા, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો. આ પરિવાર ભરૂચમાં લગ્ન પ્રસંગેથી કરજણ પરત ફરી રહ્યો હતો, ત્યારે રામદેવ હોટલ પાસે રિક્ષા ચાલક સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને રિક્ષા બાજુના નાળા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે આપસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તજમુલનું ઘટનાસ્થળે જ મોતઆ અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષામાં બેઠેલા તમામ મુસાફરો ઉછળી પડ્યા હતા. તેમાં 46 વર્ષીય જાવેદભાઈ, 46 વર્ષીય શિષયત મહેંદવી, 14 વર્ષીય રિયાન, 10 વર્ષીય જૈદ અને 16 વર્ષીય તજમુલ મહેંદવી સામેલ હતા. આ પૈકી 16 વર્ષીય તજમુલ રિક્ષામાંથી ઉછળી જઈ બાજુમાં આવેલા નાળામાં ખાબક્યો હતો. જેથી તેને ગંભીર ઇજાઓ થવાથી તજમુલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ઇજા થતા તાત્કાલિક કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. બેફામ દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તાજેતરમાં પણ આ જ હાઇવે પર થયેલા અકસ્માતોમાં અનેક લોકોના મોત થયા છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 4:03 pm

ત્રિ-દિવસીય વિજ્ઞાન મેળાનો પ્રારંભ:સાવલી KJIT ખાતે 60મુ વિજ્ઞાન પ્રદેશન, ઓર્ગેનિક ખેતી, વોટર હાર્વેસ્ટિંગ અને અમદાવાદ પ્લેવન ક્રેશના પ્રોજેક્ટે આકર્ષણ જમાવ્યું

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત 60મુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન KJIT સાવલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોકના બાળકોના 240 વિધાર્થીઓ અને 120 શિક્ષકો દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહુડાની વિશેષ ઉપસ્થિતિમાં આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 120 જેટલી શાળાએ વિવિધ પ્રોજેક્ટમાં ભાગ લીઘોઆ અંગે KJIT સાવલીના મેનેજરિંગ ટ્રસ્ટી ધર્મેશઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર જિલ્લાનું 60મુ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વડોદરા શહેર જિલ્લાની 120 જેટલી શાળાઓએ વિવિધ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. આ બાળ વૈજ્ઞાનિકો તેઓની અંદરની શક્તિને બહાર લાવવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે અહીંયા રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ઓર્ગેનિક ખેતી અને કચરો જેનો નિકાલ અંતર્ગત બાળકો દ્વારા આ વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. એકબીજાના સહયોગથી બાળકોનો કઈક શીખવાનો પ્રયાસવધુમાં કહ્યું કે, હું જે વાલીઓના બાળકો સ્કૂલમાં ભણે છે તેઓ અહીંયા ભાગ લીધા નથી, છતાં પણ અહીંયા આવી વિવિધ પ્રોજેક્ટ નિહાળી આપનું બાળક પણ પોતાની રીતે અલગ કંઈક પ્રોજેક્ટ બનાવી શકે તેવો પ્રયાસ છે. આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તાર પૂરતો નથી, શહેરના બાળકો પણ અહીંયા આવ્યા છે અને એકબીજાના સહયોગથી પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી કંઈક નવું શીખી શકે તેવો પ્રયાસ છે. રાવલ પ્રાથમિક શાળાના બાળકોએ અમદાવાદ પ્લેન ક્રેશનો પ્રોજેક્ટ બનાવ્યોઆ સાથે અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટના અંતર્ગત રાવલ પ્રાથમિક શાળાના બાળકોએ બનાવેલ અપાતી વ્યવસ્થાપન અને વિમાન દુર્ઘટના પ્રોજેક્ટ અંતર્ગત સોલંકી હેતવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંતર્ગત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ થકી દુર્ઘટના સર્જાય તો પાયલટ અને પેસેન્જરની બોગી અલગ કરી શકાય છે. અલગ થયા પછી પેરાશૂટ ખૂલી જાય છે અને ઘણાબધા લોકોના જીવ બચી શકે છે. આ ટેક્નોલોજી ઇંધણ વધુ વપરાય છે કરતું ઘણા બધા લોકોના જીવ બચાવી શકાય છે. આ ટેક્નોલોજી વિશે વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:58 pm

દારૂબંધી 'કાગળ પર', કાયદો-વ્યવસ્થા કથળી હોવાના આક્ષેપ:કોંગ્રેસે ઉના MLAના ગાળો-હથિયાર ક્લિપ્સની પેનડ્રાઈવ CMને સોંપી; આદિવાસીઓને વનવિભાગે માર માર્યો હોવાનો આરોપ

ગુજરાતમાં દારૂબંધીના અમલ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે જણાવ્યું કે, રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને અસમાજિક તત્વો સ્થાનિક પોલીસની ભાગીદારીથી ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, SMCની રેડમાં દારૂ ઝડપાયો હોવા છતાં વેચાણ બંધ થતું નથી, જે વ્યવસ્થામાં ઘૂસી ગયેલી મિલીભગત તરફ ઈશારો કરે છે. ઉનાના ચૂંટાયેલા ધારાસભ્યને લગતા ઓડિયો-વીડિયો ક્લિપ્સ વાઇરલ થયા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે આ તમામ બાબતોના પુરાવા સાથેની પેનડ્રાઇવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી છે અને સુઓમોટો ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. ઉનાના ધારાસભ્યએ નાગરિકોને ગાળો બોલી હતી: કોંગી પૂર્વ MLAપૂંજા વંશે વધુમાં જણાવ્યું કે, ઉનાના ધારાસભ્ય દ્વારા નાગરિકોને ગાળો બોલવામાં આવી હોવાના પુરાવા તેમજ હથિયાર હેરાફેરી અંગેની ક્લિપ્સ પણ સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાનો સંકેત આપે છે. તેમણે સરકાર પાસે સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવવાની પ્રબળ માગ કરી છે, જેથી સત્ય બહાર આવી શકે અને જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યાઆ જ મુદ્દાઓની સાથે વનવિભાગ અને આદિવાસીઓ વચ્ચેના વિવાદને લઈને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, વનવિભાગ દ્વારા કોઈ નોટિસ કે પૂર્વ જાણ કર્યા વિના આદિવાસીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. ખેડબ્રહ્મામાં 13 વર્ષની ઉંમરના બાળકોને વનવિભાગ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરી તેમણે સવાલ ઉઠાવ્યો કે જંગલ ખાતાને આવા પગલાં લેવાનો અધિકાર કોણે આપ્યો. વનવિભાગની કામગીરીની સમીક્ષા અને જવાબદારી નક્કી કરવા માગતુષાર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં હજુ સુધી 48 ટકા જેટલી જંગલની જમીન આદિવાસીઓને મળી નથી, જે તેમના પરંપરાગત હકોના અમલમાં મોટી ખામી દર્શાવે છે. આદિવાસીઓના હકકદાવા મંજૂર કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી તેમણે વનવિભાગની કામગીરીની સમીક્ષા અને જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. દારૂબંધીથી લઈને વનવિભાગના મુદ્દા સુધીના આ આક્ષેપો સરકાર માટે સંવેદનશીલ બન્યા છે અને હવે સરકાર શું પગલાં લે છે તે પર સૌની નજર ટકી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:43 pm

ગેસ ગ્રેનેડ મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો:વડોદરામાં ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન ગેસ ગ્રેનેડ મળી આવતા દોડધામ મચી, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી'40થી 50 વર્ષ જુનો ગ્રેનેડ છે,':ACP

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબૂબપુરા પોલીસ ચોકી પાસે ભાથુજી મહોલ્લા નજીક ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસ તંત્રએ દોડધામ કરી મૂકી હતી.‌ આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, ગેસ ગ્રેનેડ નિર્જીવ હોવાથી પોલીસ તંત્ર અને વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. વડોદરા શહેરના નવાપુરા મહેબુબપુરા વિસ્તારમાં ધાર્મિક સ્થાનનું ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન બૉમ્બ જેવો પદાર્થ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. એસીપી અશોક રાઠવા, સ્થાનિક નવાપુરા પોલીસ, બોંબ સ્કવોડ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ કૂતુહલવશ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ તપાસમાં ગેસ ગ્રેનેડ નીકળતા પોલીસ તંત્ર અને વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. બીજી બાજુ સ્થાનિક અગ્રણી શીલાબેન ઠાકોર સહિત લોકોએ ધાર્મિક સ્થળના ખોદકામ સમયે કોઇ ચોક્કસ ઇરાદો પાર પાડવા આ ગ્રેનેડ કોઈ મૂકી ગયો હોવાના આક્ષેપ કર્યા હતા, જોકે, પોલીસે સ્થાનિક લોકોના આક્ષેપોને ફગાવી દીધા હતા. અને વર્ષો જૂનો ગ્રેનેડ હોવાનો દાવો કર્યો હતો. આ મળી આવેલા ગ્રેનેડને લઇ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, આ ગેસ ગ્રેનેડ 40થી 50 વર્ષ કરતા જૂનો છે. આ ગ્રેનેડથી કોઈ જોખમ નથી. ગેસ ગ્રેનેડ મળતા બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી, પરંતુ ગ્રેનેડ ડેડ હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રેનેડની તપાસ માટે FSLની મદદ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:40 pm

ગોધરામાં 'Science Meets Society' રાષ્ટ્રીય સેમિનાર શરૂ:ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન, કલા, વાણિજ્યનું સંમિશ્રણ

ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે Science Meets Society: ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન, કલા, વાણિજ્ય અને માનવવિજ્ઞાનનો બહુમુખી સંમિશ્રણ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ માટે આંતરવિષયક અભિગમને પ્રોત્સાહન આપવાનો છે. સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ ગોધરાના BRGF ભવન હૉલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટિયા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો, સંશોધકો, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનોએ પોતાના ઉદ્બોધનમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન, કલા, વાણિજ્ય અને માનવવિજ્ઞાનના સંકલનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આંતરવિષયક અભિગમથી જ સમાજની વાસ્તવિક સમસ્યાઓના અસરકારક ઉકેલ શક્ય બને છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટિયાએ ટકાઉ ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને વૈજ્ઞાનિક નવીનતા વચ્ચેના સંબંધ પર ભાર મૂક્યો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયાએ ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને સામાજિક જવાબદારીની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર દરમિયાન વિવિધ વિષયક સત્રોમાં સંશોધન પત્રોની રજૂઆત, પેનલ ચર્ચા અને વિચારવિમર્શનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના સંશોધકો ભાગ લઈ રહ્યા છે. સેમિનારનો મુખ્ય હેતુ આંતરવિષયક વિચારવિમર્શને પ્રોત્સાહન આપી ટકાઉ વિકાસ માટે નવી દિશાઓ શોધવાનો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:38 pm

વેપારી શેરબજારમાં રોકાણના નામે છેતરાયો:ફેક એપ્લીકેશનમાં શેરબજારનું રોકાણ કરાવી ઠગોએ 53 લાખ પડાવ્યાં

અમદાવાદના વેપારી સાથે સ્ટોક ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. સાયબર ઠગે ફેક વ્હોટ્સએપ ગ્રૂપો અને નકલી ટ્રેડિંગ એપથી વેપારીને મોટા નફાની લાલચ આપીને 53 લાખની છેતરપિંડી કરી છે. જે અંગે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ફેસબુલમાં જાહેરાત જોઈ ગ્રુપમાં જોડાયા હતાંઅમદાવાદના ત્રાગડમાં રહેતા 36 વર્ષીય વેપારી નિરવકુ કુકડીયા સાથે સ્ટોક ટ્રેડિંગના નામે 53.35 લાખની છેતરપિંડી થઈ છે. નિરવભાઈ ફેસબુકમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈને A510 WealthyIn Broking નામના વ્હોટ્સએપ ગ્રૂપમાં જોડાયા હતા. આ ગ્રૂપમાં 104 મેમ્બર્સ હતા અને તેમાં વિદેશી નંબરો ધરાવતી જયાસિંગ નામની વ્યક્તિ એડમિન હતી. આ ગ્રૂપમાં અન્ય મેમ્બર્સ દ્વારા નફાના સ્ક્રીનશોટ્સ મૂકીને વેપારીનો વિશ્વાસ મળવ્યો હતો. ત્યારબાદ, જયાસિંગ નામના વ્યક્તિએ ફરિયાદીને Exclusive Service VIP 237 નામના અન્ય એક ગ્રૂપમાં એડ કર્યા અને તેમની પાસે નામ, પાનકાર્ડ, બેંક વિગતો સહિતની અંગત માહિતીઓ માંગી હતી. આરોપીના કહેવાથી ફરિયાદીએ સ્ટોક ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરીમાહિતી મળ્યા બાદ,જયાસિંગે વેપારીને WIBPL-PLUS નામની સ્ટોક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. વેપારીએ એપ ડાઉનલોડ કરીને પોતાનું બેંકનું ખાતું એડ કર્યું હતું. 03 નવેમ્બરના રોજ વેપારીએ 10,000ની રકમ બેંક ઓફ બરોડાના કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. શરૂઆતમાં એપમાં 10,586નું બેલેન્સ બતાવ્યું હતું. સાયબર ઠગે વેપારીનો વિશ્વાસ જીતવા માટે 7 નવેમ્બરના રોજ વિડ્રો ઓપ્શનનો ઉપયોગ કરીને 769 ઉપાડવાની રિક્વેસ્ટ મંજૂર કરી હતી. જેના બીજા દિવસે તેમના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. આનાથી વેપારીને કંપની પર ભરોસો આવી ગયો અને તેઓ વધુ રોકાણ કરવા માટે તૈયાર થયા હતા. સાયબર ઠગે વેપારીને 30,93,120ની લોન પણ લેવડાવીઆ વિશ્વાસના આધારે વેપારીએ અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં ટુકડે-ટુકડે રૂપિયા ટ્રાન્સફર કરીને શેર અને IPOમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. 26 અને 27 નવેમ્બરે સુદિપ ફાર્મા કંપનીના IPO માટે બેલેન્સ ખૂટતું હોવાથી, વેપારીએ 16 લાખની રકમ ભરી. સાયબર ઠગે વેપારીને 30,93,120ની લોન પણ લેવડાવી હતી. આના કારણે એપમાં કુલ બેલેન્સ 80,93,125 થયું હતું. વેપારીએ મધર ન્યુટ્રી ફૂડ્સ લી. કંપનીના આઈ.પી.ઓ. માં ખૂટતી રકમ 10,24,586 ભરી. 3 ડિસેમ્બરના રોજ IPO ઓપન થતાં, એપ્લિકેશનમાં કુલ પ્રોફિટ સાથે બેલેન્સ 5,72,76,000 જેટલું થયું હતું. પૈસા વિડ્રો માટે પૈસા ભરવાનું કહેતા ફ્રોડની જાણ થઈ3 ડિસેમ્બરના રોજ જ્યારે વેપારીએ પૈસાની જરૂર હોવાથી એપ્લિકેશનમાં વિડ્રો રિક્વેસ્ટ નાખી ત્યારે તેમને લોન નોટ સેટલનો મેસેજ મળ્યો અને રૂપિયા ઉપાડવા દેવામાં આવ્યા નહીં. જયાસિંગે વિડ્રો માટે 1% કમિશન અને વધારાનું 20% કમિશન આપવાની વાત કરી અને અંતે 5% કમિશન ઉપરાંત બીજા 31,25,808 ભરવાનું કહેતા વેપારીને છેતરપિંડીની જાણ થઈ હતી. આમ, કુલ 53,35,886નું રોકાણ કરાવીને સાયબર ઠગે વેપારી સાથે છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:36 pm

10 જગ્યા પર જાહેરાતો માટે સ્માર્ટ LED ડિસ્પ્લે લાગશે:20 બાય 10 ફૂટની ડિજિટલ સ્ક્રીન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ, સ્ટ્રક્ચરનું નિયત સમયે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાશે

મહેસાણા મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી સ્માર્ટ સિટીની દિશામાં અનેક નવા પરિવર્તન લાવવામાં આવી રહ્યા છે. ત્યાં શહેરમાં વર્ષોથી જોવા મળતી જાહેરાતના હોર્ડિંગ્સ અને બેનરોની કચરપટ્ટી તેમજ જોખમોની સ્થિતિમાં સુધારો લાવવા એડવર્ટાઇઝિંગ માટે શહેરમાં ડિજિટલ LED સ્ક્રીનો લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 સ્થળોએ સ્માર્ટ એડવર્ટાઇઝિંગ સિસ્ટમ લગાવવા ટેન્ડર પ્રક્રિયામહેસાણા મનપા દ્વારા PPP મોડ પર શહેરમાં આવેલા વિવિડ 10 સ્થળોએ સ્માર્ટ એડવર્ટાઇઝિંગ સિસ્ટમ લગાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જે ટેન્ડર પ્રોસેસ બાદ 3 મહિનામાં અન્ય મેગા સિટીની જેમ મહેસાણા શહેરમાં પણ ડિજિટલ LED ડિસ્પ્લેવાળા જાહેરાતના બોર્ડ લાગેલા જોવા મળશે. જેમાં પ્રત્યેક LED સ્ક્રીનના સ્ટ્રક્ચર સામે મનપા તંત્રને ભાડાની આવક પણ મળતી થશે. એડવર્ટાઇઝિંગ સિસ્ટમના સ્ટ્રક્ચરનું નિયત સમયે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાશેતો નિયત રેશિયામાં સરકારી જાહેરાતો અને માહિતી તેમજ સૂચનાઓનું સ્માર્ટ LED સ્ક્રીન સિસ્ટમ પર ડિજિટલ પદ્ધતિથી પ્રકાશન પણ સરળ બનશે. દરેક સ્માર્ટ એડવર્ટાઇઝિંગ સિસ્ટમના સ્ટ્રક્ચરનું નિયત સમયે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવશે. આમ હાલમાં ઠેર ઠેર શહેરની શોભાને શર્માવતા હોર્ડિંગ અને બેનરોને બદલે LED સ્ક્રીનવાળી સ્માર્ટ એડવર્ટાઇઝિંગ સિસ્ટમથી શહેરની શોભામાં પણ વધારો થશે તો અકસ્માતનું જોખમ પણ ઘટશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:28 pm

શાળા આરોગ્ય–RBSK યોજના દ્વારા મફત આરોગ્ય સેવા:ગુજરાતમાં RBSK યોજનાથી 4.5 કરોડથી વધુ બાળકોને વિનામૂલ્યે હૃદય, કિડની, કેન્સર જેવી મોંઘી સારવારનો લાભ મળ્યો

ગુજરાત સરકારની શાળા આરોગ્ય–રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના સામાન્ય પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ અમલમાં આવેલી આ યોજના દ્વારા નવજાત શિશુથી લઈને 18 વર્ષ સુધીના તમામ બાળકોને મફત આરોગ્ય સેવાઓ મળી રહી છે. આંગણવાડીમાં જતા 0થી 6 વર્ષના બાળકો, ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતા બાળકોને પણ આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. RBSK મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરાઈઆ યોજના અંતર્ગત શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત રીતે RBSK મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન જન્મજાત ખામીઓ, વિકાસમાં વિલંબ, વિવિધ રોગો તથા પોષણની ખામીઓ માટે “4D” પદ્ધતિથી સ્ક્રીનિંગ થાય છે. નાની તકલીફોમાં સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે, જ્યારે ગંભીર બીમારીઓ ધરાવતા બાળકોને વધુ સારવાર માટે નજીકની PHC, CHC, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. આ યોજના ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈયોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, રીફર કરાયેલા બાળકોને હૃદય, કિડની, કલબફૂટ, ક્લેફ્ટ લિપ–પેલેટ, કોક્લીયર ઇમ્પ્લાન્ટ, કેન્સર તેમજ વિવિધ પ્રકારની ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યંત ખર્ચાળ સારવાર પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. પરિવારોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી, જેના કારણે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનરક્ષક સાબિત થઈ છે. યોજનાનો લાભ લેવા માટે અલગથી કોઈ અરજી કરવાની જરૂર નથીબાળકની શાળા અથવા નજીકની આંગણવાડીમાં યોજાતી આરોગ્ય તપાસ દરમિયાન આપમેળે સ્ક્રીનિંગ થાય છે. જો કોઈ ગંભીર સમસ્યા ઓળખાય તો આરોગ્ય ટીમ દ્વારા માર્ગદર્શન આપીને સરકારી આરોગ્ય સંસ્થામાં રીફર કરવામાં આવે છે. રાજ્યભરમાં કાર્યરત 28 ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DIEC) અને 992 RBSK મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આ સેવા સતત આપવામાં આવી રહી છે. 4.5 કરોડથી વધુ બાળકોને આરોગ્ય ચકાસણી અને સારવારનો લાભ મળ્યોઆ રીતે શાળા આરોગ્ય–RBSK યોજના અંતર્ગત હવે લોકોને સરકારી યોજનાના લાભ માટે દોડવું પડતું નથી, પરંતુ આરોગ્ય સેવા જાતે જ બાળક સુધી પહોંચી રહી છે અને સમયસર સારવારથી બાળકોનું સ્વસ્થ ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ યોજના દ્વારા 4.5 કરોડથી વધુ બાળકોને આરોગ્ય ચકાસણી અને સારવારનો લાભ મળ્યો છે. હૃદય સર્જરીથી લઈને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને કૅન્સર સારવાર સુધી હજારો બાળકોને નવી જિંદગી મળી છે. માતા-પિતાઓ માટે સંદેશો સ્પષ્ટ છે. બાળક શાળામાં કે આંગણવાડીમાં જાય છે તો તેની આરોગ્ય તપાસ આપમેળે થશે, અને કોઈ સમસ્યા જણાય તો સરકાર તેની સંપૂર્ણ જવાબદારી લેશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:24 pm

કિશોરીનો બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી આપઘાત:વડોદરાના પોર વિસ્તારમાં કિશોરીનો ચોથા માળેથી કૂદી આપઘાત, વરણામા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વડોદરા તાલુકાના વરણામા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ પોર ગામમાં ફ્લેટમાં રહેતા એક પરિવારની કિશોરીને પાડોશમાં રહેતા તેની ઉંમરના કિશોર સાથે લાગણીના સંબંધ બંધાયા હતા. તેથી કિશોરીના પિતાએ ઉંમર થયે ત્યારે તે યુવક સાથે લગ્ન કરવાની વાત કરી હતી. બાદ યુવકને તેના પિતા ખખડાવતા હતા તેથી કિશોરીને લાગી આવ્યું હતું. તેને કારણે ચોથા માળના ધાબેથી કૂદીને આપઘાત કર્યો હતો. નાની ઉંમરે પ્રેમ, ઠપકો અને આપઘાતઆ સમગ્ર ઘટનામાં પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. અને તે પરિવાર છેલ્લા કેટલાક સમયથી પોર ગામમાં રહે છે. આ પરિવારના 14 વર્ષીય કિશોરી તેના જ ફ્લેટમાં રહેતા એક તેની જ ઉંમરના કિશોર સાથે સંબંધો બંધાય છે અને ત્યારબાદ આખો મામલો પરિવાર સુધી પહોંચતા ઉમર થશે ત્યારે લગ્ન કરાવવાની વાત કરવામાં આવે છે. ચોથા માળેથી પડતું મૂકી આપઘાતદરમિયાન કિશોરના પિતાએ તેને ખખડાવતા આ અંગેની જાણ કિશોરીને થઈ હતી. બાદમાં તે પણ કિશોરના ઘરે જઈ હતી. ઘટનાની રાત્રે તે કિશોરને તેના પિતા બોલતા આ કિશોરીને મનમાં લાગી આવ્યું હતું. દરમ્યાન પોતાના ફ્લેટના ધાબા પર ચોથા માળેથી પડતું મૂક્યું હતું તેથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ વરણામા પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીના આપઘાતને લઈ પરિવાર ઘેર શોકમાં છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:22 pm

બિલાડી પગે આવેલા દીપડાએ શ્વાન-ગલુડિયા પર હુમલો કર્યો, CCTV:શ્વાન જીવ બચાવીને ભાગ્યો, એક ગલુડિયાનું તરફડિયા મારીને ત્યા જ મોત, અમરેલીના વડીયાની ઘટના

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામમાં દીપડાએ શ્વાન અને તેના બચ્ચાં પર હુમલો કર્યો હતો. આ ઘટના રાત્રિના સમયે બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમયે હનુમાન ખીજડીયા ગામમાં એક દીપડો આવા ચડ્યો હતો. શિકાર કરવા માટે બિલાડી પગે ધીમે ધીમે આવી શ્વાન અને તેના બચ્ચા પર તૂટી પડ્યો હતો. દીપડાએ અચાનક શ્વાન પર હુમલો કરતા શ્વાને બૂમો પાડવા લાગ્યો હતો અને જેમ તેમ કરીને ત્યાથી ભાગી ગયો હતો. જોકે, દીપડાના હુમલામાં એક ગલુડિયાનું તરફડિયા મારીને ત્યા જ મોત થયું હતું. અમરેલી જિલ્લામાં, ખાસ કરીને વડીયા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાઓની અવરજવર વધી રહી છે. આ વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આવા વીડિયો સતત સામે આવી રહ્યા છે. ધારી, ખાંભા, અમરેલી અને સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીઓ દ્વારા હુમલાઓની ઘટનાઓ વારંવાર બની રહી છે. આ પ્રકારના બનાવોને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:15 pm

કુરિયર પરત થવાના બહાને રૂ.5નો ચાર્જ ભરતા રૂ. 99,999 ઉપડ્યા:જોગવાડ સબ સેન્ટરના CHOએ APK લિંક ઓપન કર્યાના એક મહિના પછી બેંક ખાતું ખાલી થયું

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વડસાંગડ ખાતે રહેતા અને જોગવાડ સબ સેન્ટરમાં CHO તરીકે ફરજ બજાવતા કેવિન ભીખુભાઈ પટેલ સાથે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. કુરિયર પરત થવાના બહાને રૂ. 5નો ચાર્જ ભરવા માટે મોકલેલી 'APK' લિંકના કારણે તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. 99,999 ઉપડી ગયા હતા. ફરિયાદી કેવિન પટેલના જણાવ્યા અનુસાર, ગત 29 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને દિલ્હી એરપોર્ટના કુરિયર વિભાગમાંથી બોલતો હોવાનું જણાવી કહ્યું કે, તેમનું કુરિયર પરત થઈ રહ્યું છે અને તેના માટે રૂ. 5નો ચાર્જ ભરવો પડશે. કેવિન પટેલના લંડન સ્થિત ફુવાજીએ કુરિયર મોકલ્યું હોવાથી તેમણે ચાર્જ ભરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ અજાણ્યા શખ્સે તેમને વોટ્સએપ પર 'Customer support9.apk' નામની એક લિંક મોકલી અને તેમાં વિગતો ભરવા જણાવ્યું હતું. કેવિન પટેલે પોતાનું નામ, મોબાઈલ નંબર અને કુરિયર નંબર ભર્યો હતો. જોકે, ફીની વિગતો ભરતી વખતે તેમને શંકા ગઈ અને તેમણે આગળની વિગતો ભરવાનું બંધ કર્યું. 'APK' લિંક ખોલવાથી ફોન હેક થઈ શકે છે તે યાદ આવતા તેમણે તાત્કાલિક પોતાનો મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો. આ ઘટનાના આશરે એક મહિના પછી, ગત 11 ઓક્ટોબર, 2025ના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં કેવિન પટેલના મોબાઈલમાં બે ટેક્સ મેસેજ આવ્યા. આ મેસેજ મુજબ, તેમની બેંક ઓફ બરોડા, ગણદેવી શાખાના ખાતામાંથી UPI દ્વારા રૂ. 54,999 અને રૂ. 45,000 મળીને કુલ રૂ. 99,999 ઉપડી ગયા હતા. તે દિવસે તેમને કોઈનો ફોન આવ્યો ન હોવા છતાં, અગાઉ 'APK' લિંક ખોલવાના કારણે જ આ સાયબર ફ્રોડ થયું હોવાનું તેમને ધ્યાને આવ્યું હતું. કેવિન પટેલે તાત્કાલિક સાયબર પોર્ટલ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, કેવિન પટેલે આ છેતરપિંડી આચરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:11 pm

સુરતના 'લિટલ ગોવા'માં SOGનો દરોડો:શંકાસ્પદ તમાકુ, ગાંજા ક્રશર, ચલમ, રિમોટ જેવા ડિજિટલ કાંટા અને 'એક-47 હુક્કા'મળી આવ્યા,દૃશ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠી

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની બદીને સંપૂર્ણ ડામી દેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ, કાયદાની છટકબારી શોધીને શહેરમાં ડ્ર્ગ્સ લેવા માટેના સામાનનો બેરોકટોક વેપલો થતો હોવાનું પણ સામે આવ્યું છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શહેરના પોશ ગણાતા સિટીલાઈટ વિસ્તારમાં આવેલી 'લિટલ ગોવા'માં દરોડો પાડતા અંદરની સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસકર્મીઓને ઘટનાસ્થળેથી વિદેશી ભાષાના લખાણવાળા તમાકુના શંકાસ્પદ પેકેટ, અલગ અલગ ડિઝાઈનના હુક્કા, ડિજિટલ વજન કાંટા મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાંથી શંકાસ્પદ તમાકુનો જથ્થો મળતા એફએસએલની મદદ લેવામાં આવી છે. સુરતના'લિટલ ગોવા'માં ગોવા જેવો માહોલ'ગોગો પેપર' પર પોલીસની કાર્યવાહી બાદ પોલીસ જ્યારે એક્શન મોડમાં આવી ત્યારે સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં એક દુકાનનું નામ હતું - 'લિટલ ગોવા'. નામ પ્રમાણે જ જ્યારે પોલીસ કાનમાં પ્રવેશી ત્યારે તેમને લાગ્યું કે તેઓ સુરતમાં નહીં પણ ગોવાની જાણીતી ક્લબમાં આવી ગયા છે. દુકાનની અંદરનો માહોલ, લાઈટિંગ અને ત્યાં સજાવવામાં આવેલી વસ્તુઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે અહીં માત્ર પાન-મસાલા નહીં પણ 'કંઈક વિશેષ' વેચાઈ રહ્યું છે. વિદેશી ભાષાના લખાણ સાથે તમાકુના પેકેટ મળ્યાતપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે અહીં 'અંબર લીફ' નામના વિદેશી ટોબેકોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું. ભારતીય કાયદા મુજબ કોઈપણ તમાકુની પ્રોડક્ટ પર ગુજરાતી કે અંગ્રેજીમાં સ્પષ્ટ ચેતવણી અને કેન્સરના ફોટા હોવા ફરજિયાત છે. પરંતુ અહીં મળી આવેલા પેકેટ્સ પર માત્ર વિદેશી ભાષામાં લખાણ હતું. આનો સીધો અર્થ એ છે કે આ માલ ગેરકાયદેસર રીતે ઈમ્પોર્ટ કરીને અથવા સ્મગલિંગ દ્વારા અહીં લાવવામાં આવ્યો હતો અને યુવાનોને આકર્ષવા માટે 'ઈમ્પોર્ટેડ'ના નામે વેચવામાં આવી રહ્યો હતો. રિમોટની સાઈઝના ડિજિટલ કાંટા મળ્યા!પોલીસની તપાસમાં દુકાનમાંથી જે સૌથી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે, તે છે - ડિજિટલ વજન કાંટા. સામાન્ય રીતે સોનીની દુકાને જોવા મળતા કાંટા અહીં પાનના ગલ્લે શેની માટે? વધુ તપાસ કરતા પોલીસને માલૂમ પડ્યું કે આ કોઈ સામાન્ય કાંટા નહોતા. આ વજન કાંટા સાઈઝમાં એકદમ નાના, ટીવી કે કારના રિમોટ જેવા દેખાતા હતા. આટલા નાના અને અત્યંત સેન્સિટિવ કાંટાનો ઉપયોગ સામાન્ય રીતે સોનું તોલવા માટે નહીં, પરંતુ ગાંજા કે ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું ગ્રામ અને મિલિગ્રામમાં વજન કરવા માટે થાય છે. નશાકારક પદાર્થના સેવન માટે વપરાતી વસ્તુઓ મળીદુકાનોના શો-કેસમાં કાચની અને અન્ય મટિરિયલની આકર્ષક ડિઝાઈનવાળી ચલમો સજાવેલી હતી. સામાન્ય રીતે સાધુ-સંતો જે ચલમનો ઉપયોગ કરે છે, તે હવે મોડર્ન અવતારમાં યુવાનોના હાથમાં પહોંચી રહી છે. એટલું જ નહીં, ગાંજાને વાટવા કે ભુક્કો કરવા માટે ખાસ પ્રકારના 'ક્રશર મશીન' પણ અહીંથી મળી આવ્યા હતા. આ સાધનોની હાજરી જ એ વાતની સાબિતી છે કે ગોગો પેપર તો માત્ર શરૂઆત છે, અંદરખાને આખી ડ્રગ્સ કન્ઝમ્પશન કિટ વેચવામાં આવી રહી હતી. AK-47 આકારમાં હુક્કો મળી આવ્યોદુકાનમાંથી હુક્કાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેમાં સાદા કાચના હુક્કાથી લઈને ઈલેક્ટ્રીક હુક્કા અને ખાસ કરીને AK-47 રાઈફલની ડિઝાઈનવાળા હુક્કા જોઈને સૌ ચોંકી ગયા હતા. યુવાનોમાં હિંસા અને નશાનું મિશ્રણ કરીને એક અલગ જ 'સ્વેગ' ઉભો કરવા માટે આવી પ્રોડક્ટ્સ વેચવામાં આવી રહી હતી. અલગ-અલગ ફ્લેવરના હુક્કાના મસાલા પણ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યા છે. શંકાસ્પદ વસ્તુની તપાસ માટે FSLની મદદ લેવામાં આવીઆ ગંભીર બાબતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન વિદેશી બ્રાન્ડના ફ્લેવર, હુક્કા, ડિજિટલ કાંટા અને ગોગો પેપર સહિતની શંકાસ્પદ સામગ્રી કબજે કરવામાં આવી છે. આ તમામ વસ્તુઓ ખરેખર શું છે અને તેમાં કોઈ ડ્રગ્સના અંશો છે કે કેમ, તે જાણવા માટે તમામ સેમ્પલ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 3:01 pm

થાનગઢના હીરાણા ગામે 11.40 લાખનો દારૂ ઝડપાયો:LCBએ 1752 બોટલ-ટીનનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

થાનગઢના હીરાણા ગામે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ. 11,40,480ની કિંમતની કુલ 1752 બોટલ અને બીયર ટીન જપ્ત કર્યા છે. આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાંથી પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને ચોક્કસ બાતમી મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા નિર્દેશ અપાયો હતો. આ અન્વયે LCB પીઆઈ જે.જે. જાડેજા, પીએસઆઈ જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ એન.એ. રાયમાની ટીમોએ જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ જે.વાય. પઠાણને મળેલી ચોક્કસ બાતમીના આધારે હીરાણા ગામમાં આરોપીના કબજા ભોગવટાના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, મકાનમાંથી 750 MLની ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 648 બોટલ (કિંમત રૂ. 8,97,600) અને 1104 બીયર ટીન (કિંમત રૂ. 2,42,880) મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 11,40,480નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ચેતન કણોતરા (રહે. મોરથળા, તા. થાનગઢ), રોહિત પરમાર (રહે. હીરાણા, તા. થાનગઢ) અને ખીમા પરમાર (રહે. હીરાણા, તા. થાનગઢ) સહિતના આરોપીઓને પકડવાના બાકી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 2:58 pm

શિપિંગ કંપનીના ભાગીદાર સાથે 6.69 કરોડની છેતરપિંડી:કર્મચારી-સંબંધીઓના ખાતામાં રકમ જમા કરાવી ભાગીદારે જ બારોબાર ઉપાડી લીધી, રકમની ઉઘરાણી કરતા ધમકી આપી

જામનગરની એક શિપિંગ કંપનીના ભાગીદારે પોતાના જ ભાગીદાર સામે રૂપિયા 6.69 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શરૂ સેક્શન રોડ પર અંબા વિજય સોસાયટીમાં રહેતા રાકેશ બારાઈ, જેઓ વરુણ શિપિંગ ફર્મ નામની ભાગીદારી પેઢી ચલાવે છે, તેમણે પોતાના ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને ભાગીદારો બેંકના વ્યવહારો સંભાળતા હતા, જેમાં વિજય નારંગ મુખ્ય જવાબદારી નિભાવતા હતા. ભાગીદારી ડીડ પ્રમાણે નાણાકીંય લેવડ દેવડ ટ્રાજેક્શન રકમ ઉપાડવાની હોય ક્યારે કોઈપણ એકના સહિથી રકમ ઉપડતી હતી. ફરિયાદી રાકેશને હોટલનો પણ વ્યવસાય હોવાથી તેઓ અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાં વધુ જતા હતા. જેથી પોતે પોતાના ભાગીદાર વિજય નારંગને વરૂણ શીપીંગનો રોજબરોજનું તમામ વહીવટ કરવા જણાવ્યું હતું અને ફર્મની તમામ ચેકબુકો તેમજ ફર્મનું સાહિત્ય આ વિજય નારંગ પર વિશ્વાસ રાખી તેને સોંપ્યું હતું. જોકે, તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવી વિજય નારંગે કંપનીના કર્મચારી કલ્પેશ જડિયા અને તેમના સંબંધી પૂજાબેન જડિયાના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓમાં કુલ 6,69,14,605 રૂપિયા જમા કરાવ્યા બાદ તે રકમ બારોબાર ઉપાડી લીધી હતી. આ રીતે વિજય નારંગે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાકેશભાઈએ આ રકમની ઉઘરાણી કરી, ત્યારે ભાગીદારે તેમને ધાકધમકી આપી હતી. આખરે, આ મામલો સિટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં પી.આઈ. એન.બી. ડાભી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 2:54 pm

5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ:મોરબીમાં CCTV વીડિયો વાયરલ, પોલીસ કામગીરી પર સવાલ

મોરબીમાં પાંચ કરોડ રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમને કોર્ટમાં રજૂ કરાયા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ ઘટના 13 ડિસેમ્બરના રોજ બપોરે 2:33 કલાકે મોરબીના પીપળી રોડ પર કોયો સિરામિક પાસે આવેલી સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે બની હતી. રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢા (ઉં.વ. 25) તેમની દુકાને બેઠા હતા ત્યારે પિયુષભાઈ પટેલ સહિત પાંચ જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા. ફરિયાદી અમરતસિંઘના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી પિયુષભાઈ પટેલને પાંચ કરોડ રૂપિયા લેવાના હતા. આ ઉઘરાણી માટે આરોપીઓએ અમરતસિંઘને પહેલા દુકાને જ માર માર્યો હતો. ત્યારબાદ તેઓએ એક કાળા રંગની કારમાં તેમનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આરોપીઓ અમરતસિંઘને ભરતનગર પાસે આવેલી એક વાડીએ લઈ ગયા હતા. ત્યાં તેમને લાકડી, પટ્ટા અને ઢીકાપાટુ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અપાયા બાદ તેમણે 14 ડિસેમ્બરની મોડી રાત્રે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા (રહે. જેતપર), ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા (રહે. બગથળા), પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા (રહે. લુટાવદર), હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા (રહે. બગથળા) અને હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયા (રહે. મહેન્દ્રનગર) એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર ગાડી (નંબર GJ 3 FD 7997) અને બ્રેઝા કાર (નંબર GJ 36 AP 2803) પણ જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા તમામ પાંચ આરોપીઓને 15 ડિસેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી અને હાલ તમામ આરોપીઓ જામીન મુક્ત છે. જોકે, યુવાનના અપહરણ અને માર મારવાની આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી અને આરોપીઓને જામીન મળવા અંગે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 2:26 pm

નશાને નકારો જીવન ને સ્વીકારો નશામુક્તિ વિશે માર્ગદર્શન:બાળકોને બોધ મળે તે માટેની અમદાવાદથી નીકળેલી યાત્રા ભાવનગર પહોંચી

મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંસ્થાના આચાર્ય જીતેન પ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે જાણીતા યુવા કલાકાર સૌરભ રાજ્યગુરુ આ યાત્રાનો મુખ્ય હિસ્સો બન્યા છે. અભિનેતા સૌરભ રાજ્યગુરુ સંચાલિત આ યાત્રા તા.4 ઓગસ્ટના રોજ અમદાવાદથી શરૂ કરવામાં આવી હતી, જે અમદાવાદ, મેહસાણા, ડીસા, પાલનપુર, સુરત, વડોદરા, નડિયાદ, આણંદ અને ડાંગ જિલ્લાથી થઈ હવે સૌરાષ્ટ્રમાં પહોંચી ચૂકી છે ત્યારે અત્યાર સુધીમાં 150થી વધુ શાળાઓમાં આ યાત્રા પહોંચી ચૂકી છે. આ યાત્રા 2 દિવસ માટે ભાવનગરની અલગ અલગ શાળાઓ માં જઈને બાળકોને નશાબંધી અને નશામુક્તિ વિશે 8 મિનિટનું એક શેરી નાટક બતાવી બાળકો પોતે અને પોતાના પરિવારમાં પણ જો કોઈ નશો કરતા હોય તો તેને સમજાવી શકે તે હેતુથી આ યાત્રાનું સફળ આયોજન ભાવનગરની જાણીતી શાળાઓ અમરજ્યોતિ સરસ્વતી હાઈસ્કુલ, ઘરશાળા, સિસ્ટર નિવેદિતા, બી.એમ.કોમર્સ, દક્ષિણામૂર્તિ , મારુતિ વિદ્યામંદિર,કે.આર.દોષી જેવી જાણીતી સંસ્થાઓમાં બાળકોને આ વિશેની જાણકારી આપી હતી. બાળકો અને શિક્ષકો દ્વારા પણ આ યાત્રાને પસંદ કરવામાં આવી હતી અને વધુ માં વધુ બાળકો સુધી આ વાત પહોંચે તેના માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું, અને ભવિષ્યમાં આવા વ્યસનો થી દુર રહેવા બાળકોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 2:13 pm

ભરૂચમાં શાળાના વાહનોના અયોગ્ય પાર્કિંગથી ટ્રાફિકજામની સમસ્યા:ટ્રાફિક નિયંત્રિત માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું, તમામ શાળાઓને પરિપત્ર જારી કર્યો

ભરૂચમાં શાળાના વાહનોના અયોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. વિદ્યાર્થીઓને શાળાએ લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા બસ અને વાન જેવા વાહનોના બેફામ પાર્કિંગથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટરે રોડ સેફ્ટી સમિતિની બેઠકમાં કડક સૂચના આપી હતી. તેમણે શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ સૂચનાના પગલે શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકોને એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, ઘણી શાળાઓમાં વાહનો શાળાના પરિસરની બહાર જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવે છે. આના કારણે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા વધુ ગંભીર બને છે. આથી, તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના પરિસરમાં અથવા જાહેર માર્ગને અવરોધ ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને મૂકવા-લઈ જવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવું પડશે. આ સૂચનાઓના અમલ માટે સંબંધિત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જો કોઈ શાળા આ નિયમોનું પાલન નહીં કરે, તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 2:06 pm

પાટણ રેલવે બ્રિજ પર વન-વે નિયમના ભંગથી વાહનચાલકો પરેશાન:લક્ઝરી બસ વળાંકમાં ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો

પાટણ રેલવે બ્રિજ પર વન-વે નિયમનો ભંગ થતા વાહનચાલકો પરેશાન છે. આજે એક લક્ઝરી બસ વળાંકમાં ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. બ્રિજ પર આદર્શ બાજુનો રોડ વન-વે હોવા છતાં, વાહનચાલકો સામસામે વાહનો લાવે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. આ નિયમભંગને કારણે લક્ઝરી બસ વળાંકમાં ફસાઈ ગઈ હતી. સામસામે વાહનો આવી જતાં કેટલીક વાનચાલકોને રિવર્સ લેવાની ફરજ પડી હતી, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વન-વે નિયમના સતત ભંગથી શહેરના વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તાત્કાલિક પોલીસ પોઈન્ટ મૂકીને વાહનચાલકોને યોગ્ય દિશા સૂચન કરવા અને નિયમોનું પાલન કરાવવા માગણી કરી છે. સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, શહેરનું નવું બસ સ્ટેશન સંપૂર્ણપણે શરૂ થયા બાદ આ બ્રિજ પર વાહનોની અવરજવર વધશે. તેનાથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાઓ વધુ વકરશે. આ સંભવિત હાલાકી ટાળવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:57 pm

ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ:સુરતમાં માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધો.12ની વિદ્યાર્થિનીનો આપઘાત; સુસાઈડ નોટ મળી

સુરતમાં વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતા પણ બે દિવસથી ઘર છોડીને જતાં રહેતા આઘાતમાં પુત્રીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણીએ લખ્યું હતું કે, હું તાપી નદીમાં ઠેકડો મારું છું. મોટાભાઈએ પીછો કર્યો પરંતુ તે બહેનને બચાવી શક્યો નહિ અને તેની નજર સામે જ બહેને તાપીમાં કૂદી મોતને વહાલુ કર્યું. માછીમારોએ દ્રષ્ટિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડીસ હતીઆ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના વતની અને હાલ વરાછા સ્થિત એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં શૈલેષભાઈ મનાણી રહે છે અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર ધ્રિવીન અને એક પુત્રી દ્રષ્ટિ (ઉં.વ.16) છે. તેમની પત્ની તેમને છોડીને ચાલી ગઈ છે. દ્રષ્ટિ અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. દ્રષ્ટિએ 15 ડિસેમ્બરને સોમવારના બપોરેના સમયે દરમિયાન ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં માછીમારોએ દ્રષ્ટિને બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે વરાછા પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતાં દ્રષ્ટિને આઘાત લાગ્યોદ્રષ્ટિ ગયા બુધવારે સ્કૂલમાંથી પ્રવાસે ગઈ હતી અને રવિવારે બપોરે જ પરત આવી હતી. દ્રષ્ટિ ઘરે આવી ત્યારે તેણીના પિતા લાપતા થયા હતા, જેથી સોમવારે સવારે વરાછા પોલીસને ગુમ થવા અંગે જાણ કરવામાં આવી હતી. માતા બાદ પિતા પણ છોડીને જતાં રહ્યા હોવાનું માંની દ્રષ્ટિ બપોરે તાપીમાં પડવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, મોટા ભાઈએ બહેનનો પીછો કર્યો હતો અને તેની નજર સામે જ બહેને તાપી નદીમાં કૂદકો માર્યો હતો. બાદમાં ભાઈએ જ અન્ય કુટુંબીજનોને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલમાં પણ દ્રષ્ટિના પિતા લાપતા હોવાનું પોલીસે કહ્યું હતું. બાય બાય, મિસ યુ ઓલ, ડેડી યોર ગર્લ ઇઝ ઓલવેઝ આઈ લવ યુ...મૃતક દ્રષ્ટિએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટમાં પપ્પા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણીએ લખ્યું કે, તમે તમારું ધ્યાન રાખજો. મારી ચિંતા નો કરતા અને પપ્પા પણ મળી જશે. હું કહીશ મારા ઠાકરને એ ગોતી લેશે બરાબર, ચલો તમને કોઈ વધારે ચિંતા નથી આપવી કઈ જ દઉં છું. હું તાપીમાં ઠેકડો મારું છું. જો અગર ગોતવી હોય તો ત્યાં જ ગોતજો બાકી નહીં. હું ત્યાં જાઉં છું બરાબર અને કોઈ રોતા નહીં અને યાદ ના કરતા. હું ય કોઈને યાદ નહીં કરું બરાબર. તમે બધા ખુશ રેજો મારું ચિંતા ના કરશો. અને પપ્પા આવે તો કેજો એને બોવ યાદ કરતી હતી અને એના વગર રહી શકે તેમ ન હતી, એટલે એણે આમ કર્યું. બાય બાય આવજો, મારી ચિંતા ના કરશો. ભાઈ બાને સાચવજે હોને, હવે તું જ એમનો સહારો બનજે અને હું ઉપર જઈશ ને જોઈ કે મારા પપ્પા છે ક્યાં? શોધીશ એમને? મળીશ કે એ ક્યાં છે અને મને મૂકીને કેમ ગયા? બાય બાય, મિસ યુ ઓલ, યાદ આવશે તમારી અને પપ્પા તમારી ખાસ. ધ્યાન રાખજો તમારું, ડેડી યોર ગર્લ ઇઝ ઓલવેઝ આઈ લવ યુ... અંતિમસંસ્કારમાં માતા-પિતા બંનેની ગેરહાજરી મૃતક દ્રષ્ટિના સોમવારે સાંજે અશ્વિનીકુમાર ખાતે અંતિમસંસ્કાર કરાયા હતા. આ દરમિયાન તેમના પરિવારમાં કરુણ દૃર્શ્યો સર્જાયા હતા, કારણે કે દ્રષ્ટિના પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. એટલે તેણીના અંતિમસંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી હતી. દ્રષ્ટિના અંતિમસંસ્કાર વખતે તેના ભાઈએ અર્થી લીધી હતી. દ્રષ્ટિના મોતને પગલે મનાણી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દ્રષ્ટિની 18 ડિસેમ્બરને ગુરુવારના રોજ તેમની સોસાયટીની વાડીમાં શોકસભા રાખવામાં આવી છે. થોડા સમય પહેલા જ પિતાએ દ્રષ્ટિને નવી એક્ટિવા અપાવી હતીમૃતક દ્રષ્ટિનો પરિવાર સુખ સંપતિ ધરાવતો હતો. દ્રષ્ટિને હરવા-ફરવાનો શોખ હતો. પિતા પુત્રીને દર વર્ષે ગુજરાત બહાર ફરવા માટે લઈ જતા હતા. દૃષ્ટિએ એમના જીવનમાં એટલી નાની વયે ચાર ધામની યાત્રા પણ કરી લીધી હતી. તેમજ ગયા વર્ષે પરિવાર સાથે તે ફ્લાઇટ જગન્નાથપુરી પણ ફરી આવી હતી. થોડાક સમય પહેલા જ તેમના પિતાએ દ્રષ્ટિને નવી એક્ટિવા અપાવી હતી, જેથી દ્રષ્ટિને તેમના પિતા પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી હતી. પરંતુ પિતાના ગુમ થઇ જતાં તેણીના આઘાતમાં આ પગલું ભરી લીધું હતું. પિતાએ પ્રવાસમાં જવાની ના કહી હતી, ઘરે આવી તો પિતા ગુમ હતાંદ્રષ્ટિના સ્કૂલમાં કચ્છ-ભૂજનો પ્રવાસ થયો હતો, જેથી દ્રષ્ટિને તેમની બહેનપણીઓ સાથે તેમને પણ પ્રવાસમાં જવું હતું જેથી તેણીએ પિતાને પ્રવાસમાં જવા માટે જાણ કરી હતી. જેથી પિતાએ કહ્યું કે, આપણે અહીંયા જઈ આવ્યા છીએ તો પ્રવાસમાં નથી જવું, તેમ છતાં દ્રષ્ટિએ પિતાને જાણ કર્યા વગર બહેનપણી પાસેથી હાથ ઉછીના પૈસા લઈ પ્રવાસમાં જવા ફ્રી ભરી હતી. દ્રષ્ટિ પ્રવાસમાં જવા માટે બેગ પેકિંગ કરતી હતી, ત્યારે પિતાને જાણ થઈ હતી. 10 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે દ્રષ્ટિ શાળામાંથી પ્રવાસમાં ગઇ હતી. બાદમાં પિતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા. જ્યારે રવિવારે બપોરે 11:30 વાગ્યે તે પ્રવાસમાંથી પરત આવી ત્યારે પિતા ગુમ થઈ ગયા હોવાની જાણ થઈ હોવાનું સંબંધી અશોકભાઈએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:53 pm

હીરાની ફેક્ટરીમાં આગમાં ફસાયેલા 70 રત્નકલાકારોનું રેસ્ક્યૂ:રીજા જેમ્સ ડાયમંડ કંપનીમાં શોર્ટ સર્કિટથી બે માળમાં આગ લાગી, ફાયર વિભાગે 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો

સુરતમાં આવેલી રિજા જેમ્સ નામની હીરાની કંપનીમાં રાત્રે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હીરાનું કારખાનું ચાલુ હતું અને આગની ઘટના બનતા રત્નકલાકારોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો. પાંચ માળની હીરા કંપનીનો ત્રીજો અને ચોથો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેના પગલે 70થી વધુ રત્નકલાકારો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની બહારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રત્નકલાકારોનું પ્રથમ રેસ્ક્યૂ કર્યું હતું અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ થવા પામી નથી. કાપોદ્રા વિસ્તારમાં રિજા જેમ્સ ડાયમંડ કંપનીમાં આગનો બનાવમળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં કર્મનાથ મહાદેવ મંદિરની સામે વરાછા મેઇન રોડ પર રિજા જેમ્સ નામની ડાયમંડ કંપની આવેલી છે. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના બિલ્ડિંગમાં હીરાના કારખાના ચાલી રહ્યા છે. રાત્રે ફાઈલ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે રિજા જેમ્સ ડાયમંડ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. જેના પગલે અશ્વિનીકુમાર, મોટા વરાછા, સરથાણા, પુણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની બહાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણ થઈસબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, ફાયરનો કાફલો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણ થઈ હતી. ત્રીજા માળની અંદર બનાવવામાં આવેલા પ્લાયવુડના પાટેશન આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ પ્રસરીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આગની વચ્ચે ફસાયેલા છ જેટલા રત્નકલાકારોને બચાવી લેવામાં આવ્યા હતા. ડાયમંડ કંપનીના પાંચમા માળે બચવા માટે પહોંચી ગયેલા 70થી વધુ રત્નકલાકારો ફસાઈ ગયા હતા. આગમાં ફસાયેલા 70થી વધુ રત્નકલાકારોનું રેસ્ક્યૂ ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની સાથે રત્નકલાકારોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાદર સુધી પહોંચી ગયેલી અગ્નિ જ્વાળાઓને કાબૂમાં કરીને તમામ રત્નકલાકારોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરીને આંખ પર કાબૂ મેળવવાની ફરજ પડી હતી. કારખાનાની અંદર રહેલા પ્લાયવુડના પાટેશન સહિતનો વાયરીંગ સળગી ઊઠ્યું હતું. જેથી ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનોને પણ મુશ્કેલી પડી હતી. ત્રીજા અને ચોથા માળનું ફર્નિચર અને વાયરીંગ સળગીને ખાખફાયર બ્રિગેડ દ્વારા બે કલાકથી વધુ સમય આંખ પર કાબૂ મેળવતા થયો હતો. આ સમગ્ર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની થવા પામી નથી. આગની ઘટનામાં ત્રીજા અને ચોથા માળનું ફર્નિચર અને વાયરીંગ સળગીને ખાખ થઈ ગયું હતું. આ સાથે જ રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ રત્નકલાકારો સહી સલામત હતા. બિલ્ડીંગની અંદર ફાયર સેફ્ટીની સુવિધા હતી. જો કે, વાયરીંગ બળી જવાના કારણે તેનો ઉપયોગ થઈ શક્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:47 pm

5000 લોકોને પાણીની પારાયણ:રાજકોટના સંતકબીર રોડ પર ફોર્સથી પાણી ન આવતા ટેન્કરના સહારે, MLA કાનગડ સામે મહિલાઓએ રોસ ઠાલવ્યો

રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટી, ચંપકનગરથી ગોવિંદબાગ શાકમાર્કેટ સુધી તેમજ સિલ્વર નેસ્ટ વિસ્તારમાં ફોર્સથી પાણી ન મળતા 5000 જેટલા લોકો પરેશાન છે. જેને લઈને આજે મહિલાઓ વિફરી હતી અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દોઢ મહિનાથી પાણી ફોર્સથી ન આવતા ટેન્કર મંગાવવા પડે છે. ધારાસભ્ય ઉદય કાનગડને ફોન કરવામાં આવે તો તેઓ ફોન ઉપાડતા નથી. મત માંગવા હોય તો આવી જાય છે પરંતુ અમારી સમસ્યા સાંભળવાનો સમય નથી. જેથી અમારી માંગ છે કે ફોર્સથી પાણી આપવામાં આવે અથવા તો ટેન્કરના પૈસા મળે. રાજકોટની શક્તિ સોસાયટીમાં રહેતા મહિલા પ્રતીક્ષાબેને જણાવ્યું હતુ કે, સંત કબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમાં રહીએ છીએ અને અમે અમારા વિસ્તારના કોર્પોરેટર ભાવેશ દેથરીયાને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારે અહીં એક મહિનાથી DI પાઇપલાઇન આવી ગઈ છે પરંતુ ફોર્સથી પાણી આવતું નથી. જેને કારણે પીવાનું પાણી માંડ ભરાય છે અને ઘર વપરાશમાં લેવા માટે પાણી મળતું નથી જેને કારણે ટેન્કરથી પાણી મંગાવવું પડે છે. આ વિસ્તારમાં દરરોજ ટેન્કરથી પાણી મંગાવવાને કારણે એક ટેન્કરના રૂ.500 તો પાણીની રિક્ષા મંગાવીએ તો રૂ.200 થાય છે. જોકે અમે મજૂર વર્ગ હોવાથી તે પૈસા આપને પોષાતા નથી. અમારી આ સમસ્યા બાબતે વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડને ફોન કરીએ છીએ પરંતુ તેઓ અમારા ફોન ઉપાડતા નથી. જેથી અમારું એટલું જ કહેવું છે કે અમને ફોર્સથી પાણી પહોંચાડવામાં આવે અથવા તો પાણીના ટેન્કરના પૈસા આપવામાં આવે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે મત માંગવા હોય ત્યારે ભાજપના ધારાસભ્ય આવી જાય છે પરંતુ અમારી સમસ્યા સાંભળતા નથી. જ્યારે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ જણાવ્યુ હતુ કે, દોઢ મહિનાથી કોર્પોરેશન દ્વારા ડી.આઇ.પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચંપકનગર રોડથી ગોવિંદ બાદ શાકમાર્કેટ સુધી તેમજ શક્તિ સોસાયટી શેરી નંબર -13 અને 14 માં તો સિલ્વર નેસ્ટના અમૂક ભાગોમાં પાણીનો ફોર્સ આવતો નથી. તેની ભયંકર ફરિયાદો છે તેને લઈને કોર્પોરેટરો દ્વારા કોર્પોરેશનના સીટી ઇજનેર શ્રીવાસ્તવ સહિતનાને રજૂઆત કરેલી છે. જોકે તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે થોડા દિવસોમાં પ્રશ્ન દૂર થઈ જશે. એક સાથે વધુ વિસ્તારમાં પાણી વિતરણને બદલે થોડા થોડા વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે તો ઓછા ફોર્સનું નિરાકરણ લાવી શકાય. કોર્પોરેશનની ટીમ આજીડેમના ટાંકા પાસે પ્રેશર તપાસવા માટે પહોંચ્યા હતા પરંતુ હજુ ઉકેલ આવ્યો નથી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:14 pm

પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ:​જુનાગઢની પ્લાસ્ટિક કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ: ધોરાજીથી પણ ફાયર ફાઇટરો બોલાવાયા, ₹10 લાખથી વધુનો સામાન બળીને ખાખ

જુનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ફેઝ-2માં આજે વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી. જીઆઈડીસી ગેટ નં. 2 પાસે આવેલી એસ. કે. પ્લાસ્ટિક નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેનો ધુમાડો દૂર-દૂર સુધી જોવા મળ્યો હતો અને અંદાજે ₹10 લાખથી વધુની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે. ​9 ફાયર ફાઇટરોની 3 કલાકની ભારે જહેમત આજરોજ સવારે આગ લાગવાની માહિતી મળતા જ જુનાગઢ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. આગની ગંભીરતા જોતા જુનાગઢની ગાડીઓ ઉપરાંત ધોરાજી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. કુલ 9 ફાયર વ્હીકલ અને 15થી વધુ ફાયર જવાનોની ટીમે સતત કામગીરી કરી હતી. અંદાજે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ, લગભગ અઢીથી ત્રણ કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. ​પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ વધુ પ્રસરી પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાને કારણે અંદર રહેલો જથ્થો ઝડપથી સળગી ઉઠ્યો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આ દુર્ઘટનામાં પ્લાસ્ટિકનો કાચો અને પાકો સામાન બળી જવાથી અંદાજે ₹10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. સદનસીબે, વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જુનાગઢ મહાનગરપાલિકાના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીએ જણાવ્યું હતું કે સવારે પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. તાત્કાલિક 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ મોટી હોવાથી ધોરાજીથી પણ 2થી 3 ગાડીઓ બોલાવવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:11 pm

નેશનલ સોફ્ટ ટેનિસ: ભરૂચના ખેલાડીઓને 5 મેડલ:દેવાસમાં યોજાયેલી સ્પર્ધામાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો

મધ્યપ્રદેશના દેવાસ ખાતે 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભરૂચના કુલ 14 ખેલાડીઓએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 5 મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું. સમગ્ર સ્પર્ધામાં ગુજરાત રાજ્યે કુલ 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં અન્ડર-14 ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં કશ્યપ નિલેશ પટેલનો સમાવેશ થાય છે. અન્ડર-14 બહેનોની કેટેગરીમાં ખનક શ્યામ પટેલે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સિલ્વર મેડલ અન્ડર-14 ભાઈઓની કેટેગરીમાં કશ્યપ પટેલ અને રેયાંશ મકવાણાએ જીત્યો હતો. અન્ડર-17 બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જૈને પણ સિલ્વર મેડલ મેળવી ગુજરાતના મેડલ ટેલીમાં વધારો કર્યો. ટીમ ઇવેન્ટમાં જશ દરજી, વ્રજ પટેલ અને એરિક પરમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભરૂચ જિલ્લાના ખેલાડીઓની આ સિદ્ધિ તેમની સખત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. કોચ આર્ચી ગોહીલ, રાહુલ પાટીલ અને મહીદીપસિંહ ગોહીલના માર્ગદર્શન, પરિવારજનોના સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓએ આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજી અને રમતગમત અધિકારી રાજનસિંહ ગોહીલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:08 pm

પૂરઝડપે આવી કાર સ્લીપ ખાઈ છાપરામાં ઘૂસી ગઈ, CCTV:રામોલમાં બેફામ કારે સૂઈ રહેલા પરિવારને કચડ્યો, ગાડી ઊંચી કરીને તમામ લોકોને બહાર કાઢ્યા, 4 ઈજાગ્રસ્ત

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં રામોલ ગામમાં આવેલા તળાવ પાસે ગઈકાલે રાત્રે શ્રમિક પરિવાર છાપરામાં સુઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે અચાનક જ પૂર ઝડપે આવતી એક ફોર વ્હીલર ગાડી બેફામ રીતે છાપરામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં શ્રમિકનો પરિવાર અંદર ફસાઈ ગયો હતો. આસપાસના લોકોએ ભેગા થઈને ગાડી ઊંચી કરીને ચાર લોકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી મુકેશભાઈ, તેમના પત્ની અને બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગાડી અંદર ઘૂસતા મુકેશભાઈ અને તેમનો પરિવાર ફસાઈ ગયોઅમદાવાદના રામોલના રામોલ ગામમાં આવેલા તળાવ પાસે ગઈકાલે રાત્રે શ્રમિક મુકેશ ડામોર અને તેમનો પરિવાર જમીને સુઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ રાત્રે 12 વાગ્યાની આસપાસ પૂરઝડપે એક ફોર વ્હીલર ગાડી તેમના છાપરામાં ઘૂસી ગઈ હતી. ગાડી અંદર ઘૂસતા મુકેશભાઈ અને તેમનો પરિવાર ફસાઈ ગયો હતો. મુકેશ ભાઈએ બુમાબુમ કરતા આજુબાજુના છાપરાવાળા અને આસપાસના લોકો ભેગા થયા હતા જેમને ગાડી ઊંચી કરીને તમામ લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસે સ્થળ પરથી કાર કબજે કરીને કારચાલકની ધરપકડ કરીઅકસ્માતમાં મુકેશભાઈને જમણા પગે ઇજા થઈ, જ્યારે તેમના પત્નીને પેટના અને છાતીના ભાગા થઈ છે. મુકેશભાઈના દીકરા-દીકરીને પણ ઇજા પહોંચતા અકસ્માતમાં કુલ ચાર લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી કાર કબજે કરીને કારચાલકની ધરપકડ કરી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બેફામ રીતે ચાલી રહેલી કાર છાપરામાં ઘૂસતી દેખાઈ હતી. અકસ્માતમાં 2ને ફ્રેક્ચર, એકને માથામાં અને એકને સામાન્ય ઇજાઆ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પીઆઇ એ.વાય પટેલે જણાવ્યું હતું કે, અકસ્માતમાં 2 લોકોને ફ્રેક્ચર, એકને માથામાં ઇજા અને એકને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલ ત્રણ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે જ્યારે એકની હાલત સુધારા પર છે. કારચાલક સામે MV એક્ટ ઉપરાંત કલમ 110 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 1:08 pm

મહિલાઓ માટે ખાસ સુરક્ષા ડ્રાઇવ:'હિંસા મુક્ત' માહોલ માટે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન; અશ્લીલ વર્તન બદલ 44 ગુના, 70 ફેન્સી વાહનો જપ્ત કરાયા

અમદાવાદ શહેરમાં મહિલાઓ સામે થતા હિંસા, છેડછાડ, શોષણ તથા અન્ય ગુનાઓને અટકાવવાના હેતુસર અને કડક કાનૂની કાર્યવાહી સાથે સામાજિક જાગૃતિ ફેલાવીને મહિલાઓને સુરક્ષિત અનુભવ કરાવવા માટે ડિસેમ્બર મહિના દરમિયાન મહિલા સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવમાં અશ્લીલ હરકત અને અયોગ્ય વર્તન બદલ 44 ગુના અને ફેન્સી નંબર પ્લેટના 70 ગુના નોંધવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાં અચાનક ચેક પોઇન્ટો ઉભા કરવામાં આવ્યાઆ વિશેષ ડ્રાઇવના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ચેક પોઇન્ટો ઉભા કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ અસામાજિક તત્વો અને અશ્લીલ તથા અયોગ્ય વર્તનમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી જાહેર સ્થળોએ શિસ્ત અને કાયદાનો ભય જળવાઈ રહે તેવો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. 70 કરતાં વધુ શંકાસ્પદ ફેન્સી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાડ્રાઇવ દરમિયાન ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 270 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ કુલ 44 ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને સંબંધિત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન 70 કરતાં વધુ શંકાસ્પદ ફેન્સી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બને અને શહેરમાં જાહેર વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે આ વિશેષ ડ્રાઇવ આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 12:50 pm

ભાસ્કર સ્ટિંગ બાદ સુરતમાં બ્લિન્કિટના ગોડાઉન પર રેડ:ગોગો પેપરના સ્ટોકનું ચેકિંગ હાથ ધર્યું, ઓનલાઇનમાં આઉટ ઓફ સ્ટોક હોવાનું સામે આવ્યું

ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઘરના ઉંબરે ડિલિવરી થઈ રહ્યા છે? 16 ડિસેમ્બરે દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યારે પોલીસ રસ્તા પરના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી રહી છે, ત્યારે બીજી તરફ ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ બ્લિન્કિટ 'છૂપો ડ્રગ ડીલર' બનીને બેરોકટોક 'ગોગો પેપર' સપ્લાય કરી રહી હોવાનું સામે આવ્યું હતું. ભાસ્કરના આ અંહેવાલ બાદ SOGએ બ્લિન્કિટના ગોડાઉન પર રેડ પાડી હતી. તેમજ ઓનલાઇન ચેક કરતા ગોગો પેપર આઉટ ઓફ સ્ટોક હોવાનું સામે આવ્યું હતું. તેમજ રેડ દરમિયાન પણ ગોગો પેપર મળી આવ્યા નહોતા. આમ ગોગો પેપરનું વેચાણ બંધ થતા ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનનો હેતુ સફળ થઈ ગયો છે. સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પોલીસ એલર્ટ છે અને બ્લિન્કીટના ગોડાઉન પર રેડ કરવાનો નિર્ણય કર્યો હતો. સર્ચ શરૂ કરતા જ ગોગો પેપરનું ઓનલાઇન વેચાણ બંધ થઈ ગયું છે. ગોગો પેપરથી હાઇબ્રિડ ગાંજાનું સેવન થતું હોય છે. જેના સેવનની મનાઈ હોય તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર શા માટે વેચવું જોઇએ? સુરતમાં તો અમે નહીં વેચવા દઈએ. એક મહિના અને એક વર્ષમાં કોણે કોણે ઓનલાઇન ગોગો પેપર મગાવ્યા તેની યાદી તૈયાર મગાવવામાં આવશે. ભાસ્કર સ્ટિંગમાં થયો હતો ખુલાસો, પિત્ઝા કરતા ઝડપી ઘરે પહોંચે છે ‘ગોગો પેપર’દિવ્ય ભાસ્કરના રિપોર્ટર શ્વેતાસિંઘે સુરતમાં બ્લિન્કિટ એપ પર માત્ર 'Rolling Paper' અથવા 'Gogo' સર્ચ કરી ઓર્ડર કર્યો. માત્ર 10 મિનિટમાં જ ડિલિવરી બોય ગોગો પેપરનું પેકેટ લઈને અઠવાલાઇન્સના સરનામે હાજર થઈ ગયો. ઓર્ડર આપનારની ઉંમર કોણ ચેક કરશે?આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચિંતાજનક બાબત 'Age Verification' એટલે ઉંમરની ખરાઈ) નો અભાવ છે. પાનના ગલ્લે કદાચ દુકાનદાર નાના બાળકને સિગારેટ કે ગોગો પેપર આપતા અચકાય, પરંતુ આ ઓનલાઇન એપ્લિકેશન્સને કોઈ સંવેદના નથી. તેમને માત્ર ઓર્ડર અને પેમેન્ટથી મતલબ છે. રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે ડિલિવરી આપતી વખતે કોઈ પૂછતું નથી કે ઓર્ડર કરનાર 15 વર્ષનો કિશોર છે કે 50 વર્ષનો પ્રોઢ. આનો સીધો અર્થ એ છે કે, જો તમારા ઘરમાં નાનું બાળક પણ એપ પરથી આ ઓર્ડર કરે, તો તેને કોઈ રોકટોક વગર ગાંજા પીવાનું આ સાધન મળી જાય છે. વાલીઓ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. પોલીસની મહેનત પર ડિજિટલ પાણી ફરી વળ્યુંછેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ કમિશનર અને SOGની ટીમો શહેરમાં 'ડ્રગ્સ ફ્રી સુરત' અભિયાન ચલાવી રહી છે. પાનના પાર્લરો પર ચેકિંગ કરવામાં આવે છે અને ગોગો પેપર વેચનારાઓ સામે કડક કાર્યવાહી પણ થાય છે. પરંતુ, પોલીસનું ધ્યાન ગ્રાઉન્ડ પર છે જ્યારે અસલી ખેલ 'ક્લાઉડ' એટલે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર રમાઈ રહ્યો છે. જ્યાં સુધી આ ઈ-કોમર્સ સાઈટ્સ પર આવા નશાકારક પદાર્થો સાથે સંકળાયેલી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ કે કડક નિયંત્રણો નહીં લાદવામાં આવે, ત્યાં સુધી પોલીસની ડ્રાઈવ માત્ર એક આંખ લૂછવા સમાન બની રહેશે. ગાંજા પર પ્રતિબંધ પણ પીવા માટે વપરાતા સાધનો છૂટથી ઉપલબ્ધકાયદાકીય નિષ્ણાતો અને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રાજ્યમાં ગાંજા જેવો પદાર્થ પ્રતિબંધિત છે, તો તેને પીવા માટે વપરાતા વિશિષ્ટ સાધનો (જેમ કે રોલિંગ પેપર/ગોગો) ના વેચાણ પર છૂટછાટ શા માટે? ગોગો પેપરનો ઉપયોગ સામાન્ય રીતે તમાકુ કે ગાંજાને રોલ કરીને સિગારેટ બનાવવા માટે જ થાય છે. જો સરકાર ગાંજાના દૂષણને ડામવા માંગતી હોય, તો તેના સાધનોની ઉપલબ્ધતા પણ અટકાવવી અનિવાર્ય છે. 'ઉડતા સુરત' બનતા વાર નહીં લાગેમાત્ર 10 મિનિટમાં મળતી આ 'સગવડ' યુવાધનને બરબાદી તરફ લઈ જઈ રહી છે. ઓનલાઇન કંપનીઓ નફાખોરીમાં એટલી આંધળી બની ગઈ છે કે તેઓ સામાજિક જવાબદારી ભૂલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ રિયાલિટી ચેક બાદ સાયબર ક્રાઈમ અને પોલીસ તંત્ર આ ઓનલાઇન વેચાણ કરતા પ્લેટફોર્મ્સ સામે કોઈ લાલ આંખ કરે છે કે કેમ? કારણ કે જો આમ જ ચાલતું રહ્યું, તો 'ઉડતા પંજાબ' જેવી સ્થિતિ 'ઉડતા સુરત' માં થતા વાર નહીં લાગે. માત્ર ગોગો પેપર એક જ કંપનીના નહીં પરંતુ લગભગ 10થી 15 અલગ અલગ કંપનીઓના ઓપ્શન તરીકે ગોગો પેપર વેચાણ કરવામાં આવી રહ્યા છે જેની કિંમત 15 રૂપિયાથી લઈ 200 સુધી છે અને જે સહેલાઈથી મળી જાય છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટર શ્વેતાસિંઘના સ્ટિંગ ઓપરેશનના ઘટનાક્રમની તબક્કાવાર તસવીર આ પણ વાંચો: ગાંજો પ્રતિબંધિત તો પીવા માટે 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણ કેમ?

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 12:48 pm