જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે અકસ્માતનો એક ગંભીર બનાવ બન્યો છે, જેમાં દર્શન કરીને ઘરે પરત જઈ રહેલા એક દંપતી ટેમ્પો ટ્રાવલરે ઠોકર મારતા ગંભીર ઈજાઓ થઈ છે. આ અકસ્માતનું કારણ બેફામ ડ્રાઇવિંગ અને ટેમ્પો ટ્રાવેલર ચાલકે કરેલું દારૂનું સેવન હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ભવનાથ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.ભોગ બનનાર દંપતી ભવનાથ ખાતે દર્શન કરીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તેઓ જ્યારે મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, તે જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક રોડ પર પટકાયું હતું અને બાઇક સવાર દંપતી રોડ પર ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં દંપતીને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. દંપતી લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યું હતું. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને રાહત તથા બચાવની કામગીરી શરૂ કરી હતી.અકસ્માતને કારણે મુખ્ય માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત ઈજાગ્રસ્ત દંપતીને વધુ સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.અકસ્માત બાદ ટેમ્પો ટ્રાવેલરનો ચાલક સ્થળ પરથી ભાગી છૂટવાના પ્રયાસમાં હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પકડાયેલા ટેમ્પો ટ્રાવેલર ચાલકની ઓળખ પ્રતીક મઘરોળા તરીકે થઈ છે. ભવનાથ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ચાલકને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન સામે આવ્યું છે કે, ટેમ્પો ટ્રાવેલર ચાલક પ્રતીક મઘરોળાએ દારૂ પીધેલી હાલતમાં હતો અને તે નશાની હાલતમાં બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો. ભવનાથ પોલીસે ટેમ્પો ટ્રાવેલર ચાલક પ્રતીક મઘરોળા વિરુદ્ધ ગુનો નોંધી, તેની તાત્કાલિક ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહન પણ જપ્ત કર્યું છે. હાલ તેની સામે અકસ્માત અને નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ અને CID ક્રાઈમે 200 કરોડના સાયબર ફ્રોડ પર મોટી કાર્યવાહી કરી છે. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં કાર્યરત આ ગેંગ 'મ્યુલ એકાઉન્ટ્સ' મારફતે ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલતી હતી. તપાસમાં આ નેટવર્કના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ટીમે સમગ્ર દેશમાં ફેલાયેલા 386 સાયબર ગુનાઓ સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરી, પૈસાના પ્રવાહને સાત સ્તરોમાં ટ્રેક કરી ₹10 કરોડની રકમ પાકિસ્તાન પહોંચી હોવાનું બહાર પાડ્યું છે. 4 મહિનામાં જ પૈસાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને પાકિસ્તાન મોકલ્યાCID ક્રાઈમે સુરતમાંથી મુખ્ય આરોપી ચેતન ગંગાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીએ માત્ર ચાર મહિનામાં જ આશરે ₹10 કરોડની રકમને USDTમાં કન્વર્ટ કરી પાકિસ્તાની વોલેટ એડ્રેસ પર મોકલી હતી. કુલ ₹29 કરોડના વિદેશી વોલેટમાં આ આરોપી દ્વારા જમા કરાયેલા ₹10 કરોડનો સીધો ટ્રેસ મળ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 61(2), 317(2) તથા IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધાયો છે. 200 કરોડ વિદેશ મોકલી આપવાના કૌભાંડમાં 6 આરોપીની ધરપકડલખતર APMC માર્કેટમાં શિવમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરીને સાયબર ફ્રોડના રૂ.200 કરોડ વિદેશ મોકલી આપવાના કૌભાંડમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. સાયબર સેન્ટર ફોર એક્સિલન્સની ટીમે સાયબર ફ્રોડ કૌભાંડમાં મહેન્દ્ર સોલંકી (મોરબી), રુપેન ભાટીયા (મોરબી), રાકેશ લાણીયા (લખતર), રાકેશકુમાર દેકાવાડીયા (લખતર), વિજય ખાંભલ્યા(સુરત) અને પંકજ કથિરિયા (સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 12 મોબાઈલ અને 2 સીમ મળ્યા હતા અને 100 બેંક એકાઉન્ટની માહિતી મળી આવી હતી. આ બેંક એકાઉન્ટ સામે દેશમાં સાયબર ફ્રોડની 386 ફરિયાદ થઈ છે. ઠગાઈના રૂ.12 કરોડ જમા કરાવનારા 3 આરોપીઓએ આ પૈસામાંથી મોરબીમાં સ્પા સેન્ટર શરૂ કર્યુ હતું. આરોપીઓના ભાગે આવેલા રૂ.50થી 60 લાખમાંથી 3 મહિના પહેલા સ્પા શરૂ કર્યુ હતું. મ્યૂલ એકાઉન્ટસના માધ્યમથી સાયબર ફ્રોડના પૈસાની હેરફેરપોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના એ.આઈ.ડોડિયા અને તેમની ટીમ દ્વારા 3 નવેમ્બરના રોજ જે ડિટેક્શન કરવામાં આવ્યું હતું. આ ડિટેક્શનમાં મ્યૂલ એકાઉન્ટસના માધ્યમથી સાયબર ફ્રોડના પૈસાની હેરફેર કરવામાં આવતી હતી, જે અનુસંધાને શિવમ ટ્રેડિંગ APMC ખાતે જે પેઢી ઊભી કરવામાં આવી હતી. ત્યાના જેના નામે પ્રોપરાઈટી હતી તે મહેન્દ્ર સોલંકી તેની સાથે રુપેન ભાટિયા, માણિયા રાકેશ અને દેલવાડિયા રાકેશ આ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેની અપર લાઈનમાં વિજય ખાંભલિયા અને તેની અપર લાઈનમાં પંકજ કથિરિયા છે, જેની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, આ તમામની અપર લાઈનમાં પણ એક વ્યક્તિ છે, જે દુબઈ છે. તેના વિશે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. ટીમે લખતર, મોરબી, સાવરકુંડલા અને સુરતમાં એકસાથે ઓપરેશન કરી આ તમામ લેયરને ઓળખી કાઢ્યા અને તમામની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતે રહેતો હતો કે, જે શિવમ ટ્રેડિંગના એકાઉન્ટમાં પૈસા આવતા હતા. આ પૈસા કેશમાં વિડ્રો કરવા માટે અન્ય આરોપીઓને આપતા. ત્યારબાદ આરોપીઓ તેને મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અન્ય આરોપીને પહોંચાડતા અને છેલ્લે દુબઈથી ઓપરેટ કરતો શખસ જે એકાઉન્ટ આપે તેમાં ક્રિપ્ટોમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા.
'યુદ્ધ માટે તૈયાર રહો...', અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ, તાલિબાને આપી ખુલ્લી ધમકી
Pakistan-Afghanistan Dispute : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છેલ્લા ઘણાં સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બોર્ડર પર એક બીજાના અનેક સૈનિકોના મોત બાદ વાટાઘાટોના ટેબલ પર આવેલા તાલિબાન અને પાકિસ્તાની સરકાર વચ્ચેનો વિવાદ હજુ પૂરો થયો નથી તેવું લાગી રહ્યું છે. ઇસ્તંબુલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાંતિ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શાંતિ વાર્તા સમાપ્ત થઈ છે. પાકિસ્તાને આ વિવાદ માટે કાબુલને દોષી ઠેરવ્યો હતો, જ્યારે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાને એક કડક શબ્દોમાં નિવેદન જારી કરીને પાકિસ્તાન પર પ્રગતિમાં અવરોધ લાવવાનો અને તુર્કી અને કતાર દ્વારા મધ્યસ્થી પ્રયાસો છતાં બેજવાબદારીપૂર્વક વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિભાગોને ભલામણ કરવામાં આવેલા સફળ ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે 19મી નવેમ્બરે નિમણૂંકપત્રો એનાયત કરાશે. જે વિભાગોમાં જે ઉમેદવારોને નિમણૂંકપત્રો અપાનાર છે તેઓની યાદી નીચે મુજબ છે. સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ માટે લેવાતી MCQ–CBRT પદ્ધતિની પરીક્ષા ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. મંડળે જાહેર કરેલી માહિતી મુજબ, આ પરીક્ષા મૂળ 9 નવેમ્બર 2025ના રોજ યોજાવાની હતી, પરંતુ વહીવટી કારણોસર તેને 23 નવેમ્બર 2025 સુધી મુલતવી રાખવામાં આવી હતી.પરંતુ 23 નવેમ્બરના રોજ જ અન્ય ભરતી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સંવર્ગોની પરીક્ષાઓ યોજાવાની હોવાથી, કોમન ઉમેદવારોએ તારીખમાં વધુ ફેરફાર કરવાની માંગ સાથે રજૂઆતો કરી હતી. ઉમેદવારોની આ રજૂઆતને ધ્યાને લેતા, મંડળે પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.મંડળે જણાવ્યું છે કે નવી પરીક્ષા તારીખ અંગેની માહિતી આગામી સમયમાં વેબસાઇટ પર અલગથી જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને સત્તાવાર જાહેરાતો નિયમિત ચકાસવા અનુરોધ કરાયો છે. સિનિયર સબ-એડિટર અને માહિતી સહાયક વર્ગ-3ની પરીક્ષા મુલતવી, હવે 15 ડિસેમ્બરે થશે પરીક્ષાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિનિયર સબ-એડિટર અને માહિતી સહાયક, વર્ગ-3ની આવનાર MCQ-CBRT પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી છે. મંડળે 18/10/2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલા કાર્યક્રમ અનુસાર આ પરીક્ષા 25/11/2025ના રોજ લેવાઈ રહી હતી. મંડળે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી કારણોસર પરીક્ષાને નવા શેડ્યૂલ મુજબ 15/12/2025, સોમવારના રોજ લેવામાં આવશે. આ અંગેનો સુધારેલ પરિપત્ર જા.ક.326/2025-26 મુજબ જાહેર કરવામાં આવ્યું છે. મંડળે ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ નવી તારીખ અંગેની જાણકારી સત્તાવાર વેબસાઇટ અને આગામી સૂચનાઓ દ્વારા ચકાસતા રહે.
સુરત મહાનગરપાલિકામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે શહેરીજનોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોરોના મહામારીના કપરા કાળમાં ધંધા-રોજગાર ઠપ્પ થયા બાદ વર્ષ 2021-22માં મિલકત અને વ્યવસાય વેરા પર વ્યાજ માફી યોજના જાહેર કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખે પગલું ભર્યું હતું. તે સમયે રૂ. 25 કરોડની રાહત આપવામાં આવી હતી. જોકે, આ યોજનાની સફળતાને પગલે ત્યારબાદ સતત વર્ષ 2022-23, 2023-24, અને 2024-25માં પણ આ પ્રોત્સાહક યોજના ચાલુ રાખવામાં આવી હતી. સતત પાંચમા વર્ષે બાકીવેરા પર વ્યાજમાફીની જાહેરાત થઈ શકેસળંગ ચાર વર્ષ સુધી આ યોજનાનો લાભ આપ્યા બાદ, હવે જ્યારે સામી ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શાસકો ફરી એકવાર મિલકત વેરા પર વ્યાજ માફી યોજના જાહેર કરવા માટે બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાના ડેટા ઉથલાવી રહ્યા છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ રજૂઆતો શરૂ થઈ ગઈ છે, જેના કારણે સંભવત: ડિસેમ્બર મહિના સુધીમાં વધુ એક વખત આ યોજના જાહેર થઈ શકે છે. જો આમ થશે, તો પાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે ચૂંટાયેલી પાંખે પોતાના શાસનના પાંચેય વર્ષ સુધી વેરા વ્યાજ માફી યોજના જાહેર કરી હોય.છેલ્લા ચાર વર્ષના ડેટા પર નજર કરીએ તો, વર્ષ 2021-22થી વર્ષ 2024-25 સુધી સતત ચાર વર્ષ જાહેર થયેલી આ માફી યોજના અંતર્ગત શહેરીજનોને વ્યાજ પેટે કુલ 80.06 કરોડની જંગી રાહત મળી શકી છે. આનાથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે, આ યોજનાને પગલે પાલિકામાં વર્ષોથી જમા ન થઈ રહેલો 399.11 કરોડનો વેરો સફળતાપૂર્વક રિકવર થઈ શક્યો હતો. કુલ 2,76,600 મિલકતદારોએ આ ચાર વર્ષમાં માફી યોજનાનો સીધો લાભ લીધો હતો, જે આ યોજનાની વ્યાપક અસર દર્શાવે છે. સ્ટેન્ડીંગ કમિટીમાં વ્યાજ માફી યોજના માટે રજૂઆત કરવામાં આવીતાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય નરેશ ધામેલિયાએ રજૂઆત કરી હતી કે, જે રીતે પાછલા ચાર વર્ષમાં મિલકત અને વ્યવસાય વેરા પર વ્યાજ માફી અપાઈ હતી, તેવી જ રીતે આગામી વર્ષ 2025-26માં પણ 31મી માર્ચ સુધીની વેરા ચુકવણી પર વ્યાજ માફી જાહેર થવી જોઈએ. આ રજૂઆતને બેઠકમાં ઉપસ્થિત અન્ય સભ્યોએ પણ શહેરીજનોના હિતમાં સમર્થન આપ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ યોજના જાહેર થવાના પ્રબળ સંકેતો છે. બે વર્ષથી વધુ સમયથી પે એન્ડ પાર્ક માટે મથતી મહાપાલિકાસુરત શહેરમાં વાહનોની વધતી સંખ્યાને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા એક ગંભીર પડકાર બની ગઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળી રહ્યો નથી. આના ભાગરૂપે, મહાપાલિકાએ શહેરના જુદા જુદા રસ્તાઓ પર 22થી વધુ ઓન સ્ટ્રીટ પાર્કિંગ સ્પોટ નક્કી કરીને લોકોને પે એન્ડ પાર્કિંગની સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ યોજનાના અમલ કરવામાં મહાપાલિકાને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઉધના ઝોન વિસ્તારમાં આવતા યુનિક હોસ્પિટલથી સેન્ટર પોઇન્ટ સુધીના ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગ માટે મહાપાલિકાને છેલ્લા બે વર્ષથી કોઈ એજન્સી મળી રહી નથી. આ માટે મહાપાલિકાએ સતત ૭મી વખત ટેન્ડર બહાર પાડવા પડ્યા છે, તેમ છતાં કોઈ એજન્સી રસ દાખવી રહી નથી, જેના કારણે પાર્કિંગની સમસ્યા વધુ ઘેરી બની છે. આ મહત્ત્વનો રોડ સિવિલ હોસ્પિટલ, રિંગરોડ, ઉધના-મગદલ્લા રોડ અને વેસુ કેનાલ રોડ જેવા ટ્રાફિક ભરચક વિસ્તારોને લાગુ પડે છે, જ્યાં પાર્કિંગની ભારે અછત છે. મહાપાલિકાએ આ રોડ પર વર્ષ 2022-23માં જ ઓન સ્ટ્રીટ પાર્કિંગ શરૂ કરવાની તૈયારી કરી હતી. ઝોનલ ઓફિસરના જણાવ્યા અનુસાર, ઉપરા છાપરી સાત વખત ટેન્ડરો જાહેર કરાયા હોવા છતાં, એજન્સીઓને આ પ્રોજેક્ટમાં કોઈ આર્થિક લાભ દેખાતો ન હોવાથી તેઓ રસ દાખવતી નથી.એજન્સી ન મળવાની સ્થિતિમાં, મહાપાલિકા હવે અન્ય વિકલ્પ પર વિચારણા કરી રહી છે. છેલ્લા બે વર્ષના નિષ્ફળ પ્રયાસો બાદ, જો ફરી એજન્સી નહીં મળે, તો માર્કેટ રેટ પ્રમાણે પાર્કિંગ ચાર્જ નક્કી કરીને ઝોન દ્વારા જ ખાતાકીય રીતે સ્ટાફ મૂકીને આ સ્થાને ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગની કામગીરી શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. અગાઉ પણ શરૂઆતમાં આ પ્રકારની કામગીરી ખાતાકીય રીતે શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય શહેરીજનોની પાર્કિંગની મુશ્કેલીઓ દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.
જો આપને સરકારી યોજનાનો લાભ અપાવવા રૂપિયાની માંગણી થાય તો ચેતી જજો કારણ કે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે કે જે સસ્તામાં લેપટોપ આપનાના બ્હાને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી દ્વારા કેન્દ્ર સરકારના કૌશલ્ય સ્કીલ ડેવલેપમેન્ટ ડીપાર્મેન્ટમાં એજ્યુઅકેશન નોડલ ઓફીસર તરીકેની ઓળખ આપી રાજકોટના સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સાથે લેપટોપ સહાયના નામે રૂ.36 હજારની છેતરપીંડી કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમમાં લેપટોપ સહાય યોજના અમલમાં છે રાજકોટના નિખીલ સોમાભાઈ પરમાર (ઉ.વ.36) મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી કલ્યાણ કચેરી રાજકોટમા ફરજ બજાવે છે. ગઇ તા.10 ઓક્ટોબરના રોજ તેમના ગામના વતની ડાયાભાઈ પરમારે ફોન કરી જણાવ્યું કે, તેમની દિકરી રાજકોટ ખાતે કોલેજમાં બીસીએ કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે, તેના માટે સરકાર દ્વારા મફતમા કોઈ લેપટોપ સહાય હોય તો જણાવજો જેથી તેને જણાવ્યું કે, હાલમા કોઈ ગુજરાત સરકાર દ્વારા મફતમા લેપટોપ આપવામાં આવતું હોય તેવી સરકારની યોજના અમલમાં નથી. પરંતુ મારા ખ્યાલ મુજબ ગુજરાત સરકારમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમમાં લેપટોપ સહાય યોજના અમલમાં છે, તેમા અમુક નક્કી કરેલ સહાય વિદ્યાર્થીઓને મળતી હોય છે. લેપટોપ મળ્યે અરજી સમયે ભરેલ રૂ.2 હજાર રિફંડ મળી જશે ત્યારબાદ ડાયાભાઈએ જણાવ્યું કે, મારી દિકરી રાજકોટમા જ્યા રહે છે, ત્યા એમની સાથે રહેતી તેમની બહેનપણીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રૂ.2 હજારમાં લેપટોપ આપવામાં આવે છે તેની અરજી કરેલ છે અને લેપટોપ મળ્યે આ અરજી સમયે ભરેલ રૂ.2 હજાર રિફંડ તમારા ખાતામાં આવી જાય છે તેમ જણાવ્યું હતું. જેથી તેમને જણાવ્યું કે, આવી કોઈ યોજના મારા ધ્યાનમાં આવી નથી. જેથી ડાયાભાઇએ કહ્યું કે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરે છે જેઓ આ યોજનાનો લાભ અપાવે છે તેના મારી પાસે નંબર છે અને તેમનુ નામ જયસુખ સરવૈયા છે. એમની સાથે હુ તમારી વાત કરાવુ છુ અને એ સાહેબને લાઈનમા લવ છુ, જે બાદ જયસુખ સાથે કોન્ફરન્સ કોલમા વાત કરતા તેમણે સેંટ્રલ ગવર્મેન્ટમાં કૌશલ્ય સ્કીલ ડેવલેપમેન્ટ ડીપાર્મેન્ટમાં એજ્યુઅકેશન નોડલ ઓફીસર તરીકે ઓળખાણ આપી હતી. એજ્યુકેશન નોડલ ઓફીસર તરીકે ઓળખ આપી જયસુખ સરવૈયાએ હું આપણા સમાજ તથા પછાત વર્ગના ગરીબ બાળકોને આ યોજનાનો લાભ અપાવુ છું કહીં ફોન કટ કરી દીધો હતો. બાદમાં તા. 11 ઓક્ટોબરના રોજ સવારે અજાણ્યાં નંબર પરથી કોલ અને મેસેજ કરી જણાવ્યું કે હુ એજ્યુકેશન નોડલ ઓફીસર જયસુખ સરવૈયા બોલુ છું, આપણે ગઇકાલે કોન્ફરન્સમા લેપટોપ યોજનાની જે વાત થઇ હતી તેમા હવે ચાર વિદ્યાર્થીઓ ઘટે છે, આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તો મને આપણા સમાજના ચાર વિદ્યાર્થીઓ શોધી અને તેમના ડોક્યુમેન્ટ મોકલી આપો. જેથી ફરીયાદીએ સમાજના ચાર વિદ્યાર્થીઓ વતી આ જયસુખ દ્વારા મોકલવામા આવેલ ક્યુઆર કોડ ઉપર શરૂઆતમા બેંક એકાઉન્ટમાથી રૂ.8 હજાર અને તેમના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. બાદ ફરીવાર જયસુખએ જો વિદ્યાર્થી દિઠ રૂ.4 હજાર વધુ ભરો તો કંપનીનુ સારૂ અને મોટી હાર્ડ ડીસ્ક વાળુ લેપટોપ મળશે. જેથી ફરીયાદીએ આરોપીને રૂ.8 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતાં. સરકારી કર્મચારીને કેન્દ્ર સરકાર તરફથી લેપટોપ મળે બાદમાં આરોપી જયસુખે કોલ કરી જણાવ્યું કે, દરેક સરકારી કર્મચારીને કેન્દ્ર સરકાર તરફથી લેપટોપ મળે છે, જેમા મોટાભાગના સરકારી કર્મચારીઓને ખબર જ નથી હોતી, જેમાં રૂ.15 હજાર અને ડોક્યુમેન્ટ આપવાના હોય છે અને તેમા રૂ.12,500 રિફંડ મળી જાય છે જેથી ફરીયાદીએ પોતાનું સરકારી આઇકાર્ડ અને આધારકાર્ડ મોકલ્યું હતું જેમા તેમણે ચેક કરીને જણાવ્યું કે, તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, જેથી જયસુખને રૂ.15 હજાર ભરી આપ્યા બાદ ફરી કોલ આવ્યો અને જણાવ્યું કે, મારી ભુલ થઈ છે કે રૂ.15 હજારની જગ્યાએ રૂ.20 હજાર ભરવાના થાય છે જેથી ફરીથી રૂ.5 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. જયસુખે કોલ ન ઉપાડતા શંકા ઉપજી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી બે દિવસ બાદ જયસુખને કોલ કર્યો તો કોલ ઉપાડ્યો ન હતો જેથી શંકા જતા બનાવ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર અરજી કાર્ય બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે આરોપી જયસુખ સરવૈયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે અનેક લોકો સાથે આ શખ્સ દ્રારા છેતરપિંડી કરવામાં આવી હોય શકે છે. જેથી પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જો કોઇ વ્યક્તિ આ નકલી અધિકારીનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરે. હાલ પોલીસે આરોપીની પુછપરછ કરી અત્યાર સુધીમાં કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિતની મહત્વની જગ્યાઓ ખાલી પડી હોય ઈન્ચાર્જથી હાલ ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. જેમાં પરીક્ષા નિયામક, સીસીડીસીના ડાયરેકટર, આઈ.કયુ.એ.સી.ના ડાયરેકટર અને યુનિવર્સિટીના ઈજનેર એમ 4 જગ્યા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે.જયારે ડેપ્યુટી રજિસ્ટ્રારની 1 જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ જ રીતે એજયુકેશન અને ગુજરાતી ભવનમાં એસોસિએટ પ્રોફેસર તેમજ લો ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પણ દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં એક્સ રે વિભાગમાં પોપડુ પડ્યુ, સદનસીબે જાનહાનિ ટળી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ 21 માં એક્સ-રે વિભાગમાં આજે દીવાલ પરથી પોપડા પડ્યા હતા. જોકે સદનશીબે કોઈને ઈજા થઈ નહોતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવા બિલ્ડીંગો ઉપરાંત કેટલાક જૂના બિલ્ડીંગો પણ આવેલા છે. જે વર્ષો જૂના છે.આ પ્રકારના જૂના બિલ્ડીંગો હાલ જર્જરીત થઈ ગયા છે. મેડિકલ કોલેજની આગળના ભાગના વોર્ડને તો હાલ તાળા લગાવી દેવાયાં છે.જોકે એક્સરે વિભાગ અને બીજા કેટલાક વિભાગો હજુ પણ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. આજે બપોરે 21 નંબરમાં એક્સરે બારી પાસે અચાનક દિવાલમાંથી પોપડુ જમીન પર પડ્યુ હતુ. જોકે તે સમયે ત્યાં નીચે દર્દી કે તેની સાથેના લોકો ન હોવાથી જાનહાનિ ટળી હતી. મનપાએ 35 ફિલ્ડ ઈજનેરની કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિવિધ ટેકનીકલ કામો માટે કિલ્ડ એન્જીનીયર(સિવિલ)ની માસિક ફિક્સ રૂ.40 હજારના પગારથી હંગામી ધોરણે 11 માસ માટે નિમણૂક કરવામાં આવી છે. મનપા દ્વારા કરાર આધારિત 35 જગ્યાઓ ભરવા માટેની મંજુરી રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનાં ઠરાવ મુજબ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિવિધ પ્રોજેક્ટો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે હેતુસર ફિલ્ડ એન્જીનીયર(સિવિલ)ની સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. સ્ટાફ સિલેકશન કમિટીની ભલામણ અનુસાર મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા 35 ઉમેદવારોની કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટના 3 ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ એનાયત ગાંધીનગરના ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા દર વર્ષે રાજયની તમામ મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનને સારી કામગીરી બદલ બેસ્ટ ફાયર સ્ટેશન તરીકે એવોર્ડ આપવામા આવે છે. અમદાવાદ ખાતે આ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનગરપાલિકા હસ્તકના ત્રણ ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની કામગીરી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત કે. દવે અને ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ બી. ઝાલા સંભાળે છે. શહેરના ત્રણ ફાયર સ્ટેશન દ્વારા ફાયર કોલ, બચાવ કોલ, એમ્બ્યુલન્સ - શબવાહીની કોલ તથા બિલ્ડીંગોમા નિયમીત ફાયર સેફટીનું ઇન્પેકશન તથા ફાયર સ્ટેશન દ્વારા ફાયર એનઓસી અંગે બિલ્ડીંગોનું ઇન્સપેકશન વિગેરે કામગીરી કરવામાં આવે છે.આ એવોર્ડ રામાપીર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ફિરોજ આઇ. લુવાની, કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મોઇન શેખ, અને રેલનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર દિનેશભાઇ ચાંચીયા દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા. પોલીસની DGP કપ હોકી ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધા 2025-26 ની આજે પુર્ણાહુતી થઇ છે. ડીજીપી કપ હોકી સ્પર્ધા - 2025નુ યજમાન રાજકોટ શહેરને સોપવામાં આવેલ હતું. જેના ભાગરૂપે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું. આ ડીજીપી કપ હોકી સ્પર્ધામાથી રાજકોટ શહેર ખાતે આગામી ડીસેમ્બર 2025માં યોજાનાર 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ 2025-26ની ગુજરાત પોલીસની ટીમની પસંદગી કરવામાં આવનાર હતી. જેમાં પુરુષ વિભાગમાં રાજકોટ સીટી પોલીસની ટીમે મેદાન માર્યું હતું. જયારે મહિલા વિભાગમાં રાજકોટ રેન્જની ટીમે બાજી મારી લેતાં બંને ટીમોને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના હસ્તે કપ સહિતના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આયોજિત કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 4500 કિલોમીટર લાંબી સાઈકલ યાત્રાનું ગુજરાતના ગોધરા શહેરમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર પટેલના અમૂલ્ય સંદેશને દેશભરમાં પહોંચાડવાના ઉદ્દેશ્યથી નીકળી છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી શરૂ થયેલી આ ભગીરથ યાત્રામાં આશરે 150 જેટલા સાઈકલ સવારો જોડાયા છે. આ યાત્રા ભારતની વિવિધતામાં એકતાના વિચારને મૂર્તિમંત કરે છે. સરદાર પટેલના જન્મદિવસે શરૂ થયેલી આ યાત્રા આગામી 17 નવેમ્બરના રોજ કન્યાકુમારી ખાતે સમાપ્ત થશે. અત્યાર સુધીમાં આ યાત્રા શ્રીનગરથી દોહરા, દિલ્હી, જયપુર, ભીલવાડા અને ઉદયપુર જેવા મહત્ત્વના શહેરોમાંથી પસાર થઈને ગોધરા આવી પહોંચી છે. ગોધરા ખાતેના સ્થાનિક લોકોએ સાઈકલ સવારોને ઉત્સાહપૂર્વક આવકારીને તેમના મિશનને બિરદાવ્યું હતું. યાત્રામાં જોડાયેલા 150 સાઈકલ સવારોએ આ ઐતિહાસિક પ્રવાસનો હિસ્સો બનવા બદલ ગર્વ અનુભવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરદાર સાહેબની પ્રેરણા તેમને સતત બળ પૂરું પાડે છે. ગોધરા ખાતે થોભ્યા બાદ, આ યાત્રીઓ હવે સરદાર પટેલની વિશ્વ વિખ્યાત પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તરફ પ્રયાણ કરશે. ત્યાંથી તેઓ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રવેશ કરશે. આગળનો પ્રવાસ ધુલે, બીડ, સોલાપુર, કામપુર, સીરા, ચામનગર અને ડીડીગુલ જેવા શહેરોમાંથી પસાર થશે. અંતે, તેઓ તમિલનાડુના કન્યાકુમારી ખાતે પહોંચીને આ ભવ્ય એકતા યાત્રાનું સમાપન કરશે. આ સાઈકલ યાત્રા દેશના યુવાનો અને નાગરિકોને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.
પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી માંગવાના અનેક આરોપોમાં કુખ્યાત બનેલી કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત પોલીસે આખરે કડક કાર્યવાહીનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી, કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લીધા છે. શનિવારના રોજ, પાસાના હુકમની બજવણી કરી કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે. કેમ જરૂરી બની 'પાસા' હેઠળની કાર્યવાહી?સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ, કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. ચર્ચાસ્પદ કીર્તિબેન રણછોડભાઇ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું. કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા 'આદતી ગુનેગારો'ને સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે. સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી, પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું. શું છે કીર્તિ પટેલની મોડસ ઓપરેન્ડી?કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે, કારણ કે તેનું મુખ્ય હથિયાર 'સોશિયલ મીડિયા' રહ્યું છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કુખ્યાત બની હતી. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તે આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી હતી. ગુનાહિત ઇતિહાસ: હત્યાના પ્રયાસથી લઈને ખંડણી સુધીપોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો. તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પરિણામે બજારમાં શાકભાજી સહિતના અનેક પાકોના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. હાલના બજાર ભાવ મુજબ શાકભાજીના દર આ રીતે નોંધાયા છે. આ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છેપરવળ 70 પ્રતિ કિલો, ધાણા 80 પ્રતિ કિલો, ભીંડા 60 પ્રતિ કિલો, સરગવો 160 પ્રતિ કિલો, રીંગણ 100 પ્રતિ કિલો, ચોળી 80 પ્રતિ કિલો, ગુવાર 100 પ્રતિ કિલો, લીંબુ 40 પ્રતિ કિલો, લીલી ડુંગળી અને અન્ય લીલા શાકભાજી 30 પ્રતિ કિલો, જ્યારે ટામેટા 40 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. ડુંગળી અને બટાકાના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે. ડુંગળી 20થી વધીને 30 પ્રતિ કિલો અને બટાકા 25થી વધીને 30 પ્રતિ કિલો થયા છે. ભીંડા, ગવાર, ચોળી, રવૈયા જેવા પાકો વરસાદના પાણીમાં બળી ગયા હોવાથી આવક ઘટીશાકભાજી વેચનાર વિજયભાઈએ જણાવ્યું કે, વગર મોસમી વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ભીંડા, ગવાર, ચોળી, રવૈયા જેવા પાકો વરસાદના પાણીમાં બળી ગયા હોવાથી આવક ઘટી ગઈ છે. પરિણામે ભાવમાં વધારો થયો છે. હાલના ભાવમાં એક મહિના સુધી કોઈ ઘટાડો થવાની સંભાવના નથી. દેવ દિવાળી પછી નવો ફાલ આવતાં થોડો ઉતાર જોવા મળી શકે છે. હાલ વટાણા 200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે ભીંડા અને ગવાર 100 પ્રતિ કિલો છે. ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડી ગયોબીજા શાકભાજી વેચનાર દશરથભાઈએ જણાવ્યું કે, માવઠા અને ઠંડીમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડી ગયો છે. જેના કારણે શાકભાજી અને અનાજના ભાવમાં વધારો થયો છે. સામાન્ય વ્યક્તિ માટે હવે શાકભાજી ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. સરકારએ ખેડૂતોને સહાયતા આપવી જોઈએ અને સામાન્ય લોકો માટે રાહતના પગલાં ભરવા જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોને જે નુકસાન થયું છે એથી તેઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. પાકમાંથી જે આવક થવાની હતી તે અડધી પણ થઈ નથી. સરકારએ ખેડૂતોને સહાય આપવી જરૂરી છે જેથી આગામી સીઝનમાં તેઓ ફરી વાવણી કરી શકે. શાકભાજીનું ઉત્પાદન ઘટ્યુંકમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે, જેના પરિણામે ભાવોમાં તેજી જોવા મળી રહી છે. આવતા મહિના સુધી હાલના ઊંચા ભાવ જળવાઈ રહેવાની સંભાવના છે.
નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના પીલાણ સિઝનનો સભાસદો અને સુગરના કસ્ટોડિયન કમિટીના સભ્યો અને કર્મચારીઓની ઉપસ્થિતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદા સુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝન શરૂ થતા નર્મદા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન કમિટી સભ્ય અને પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ચાલુ પીલાણ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે સાથે ખેડૂતોને શેરડીનો સારો ભાવ આપીશું.આ વર્ષે કુલ 32000 એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર થયું છે તે કાપીને સૌ પ્રથમ ઓર્ગેનિક ખાંડ અને ત્યાર બાદ ફાર્મા ગ્રેડ ખાંડ અને ત્યાર બાદ એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.જોકે આ વર્ષે કમોસમી વરસાદને કારણે શેરડીના પાકમાં પણ નુકસાન થયું હોવાથી કાપણી વધુ ચાલશે અને પોષણક્ષમ ભાવો આપીશું. તો બીજી બાજુ ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે આ સુગર ફેક્ટરીમાં પોષણ ક્ષમ ભાવ મળે છે જેથી અમને સારી આવક પણ થાય છે.જોકે સરકારને વિનંતી કરીએ છે કે આ કમોસમી વરસાદમાં અમને શેરડીના પાકમાં પણ નુકસાન ગયું છે તેનું વળતર સરકારે આપવું જોઈએ .
તાજેતરમાં કેટલાક સમાચાર માધ્યમોમાં “સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી” અને “પંજાબના CMના કોન્વોયમાં ફાળવેલી એમ્બ્યુલન્સમાં પૂરતી દવા જ નહતી” શીર્ષક સાથેના અહેવાલો પ્રસારિત થયા હતા. આ અહેવાલો અંગે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, આ અહેવાલો સત્યથી તદ્દન વેગળા અને તથ્યહીન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોન્વોય ડ્યુટી માટે નિયુક્ત કરવામાં આવેલી તબીબી ટીમ પાસે તમામ પ્રકારના ઇન્જેક્શન્સ અને આવશ્યક દવાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ હતી. ડો. પરમારે વધુમાં સમજાવ્યું કે નિયમો અને પ્રોટોકોલ અનુસાર, જ્યારે પણ સર્જન અને એનેસ્થેટિસ્ટને કોન્વોય ડ્યુટીમાં મોકલવામાં આવે છે, ત્યારે તેઓ કાફલો શરૂ કરતા પહેલા એક ચોક્કસ ચેકલિસ્ટનું પાલન કરે છે. આ ચેકલિસ્ટમાં દર્શાવેલી બધી દવાઓ હાજર હોય, તો જ ટીમ દ્વારા કોન્વોય શરૂ કરવામાં આવે છે. હોસ્પિટલ પાસે આ વાતની સાબિતી રૂપે સહી કરેલા ચેકલિસ્ટ્સ હાજર છે, જેમાં એનેસ્થેટિસ્ટ અને સર્જનની સહી પણ છે. આ ચેકલિસ્ટ પુષ્ટિ કરે છે કે કોન્વોય શરૂ કરતાં પહેલાં તમામ દવાઓ હાજર હતી. આથી, દવાઓ ઉપલબ્ધ નહોતી તેવા પ્રસિદ્ધ થયેલા સમાચારો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.
ભાવનગર જિલ્લામાં તા.9 નવેમ્બર આવતીકાલથી જિલ્લામાં કુલ 5 એપીએમસી સેન્ટરો જેમાં ભાવનગર,મહુવા,ગારીયાધાર, તળાજા અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી,અળદમગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 5 એ.પી.એમ.સી. સેન્ટરો પર આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશેભાવનગર જિલ્લામાં આવેલ 5 એ.પી.એમ.સી. સેન્ટરો પર આવતીકાલથી ટેકાના ભાવે મગફળી, અળદ, મગ અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘને આ ખરીદી માટે નિયુક્ત કરવામાં આવી છે, અને સંઘ દ્વારા તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખેડૂતોને ફોન દ્વારા ક્રમવાર બોલાવવામાં આવશેખરીદી કેન્દ્રોમાં CCTV કેમેરા, કોમ્પ્યુટર, વજન કાંટા અને પીવાનું પાણી જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂતોને ફોન દ્વારા ક્રમવાર બોલાવવામાં આવશે જેથી ખરીદી પ્રક્રિયા સુચારૂ રીતે ચાલે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. ભાવનગર જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોવાથી અત્યાર સુધીમાં અંદાજિત 37,000 જેટલા ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મગફળી સોયાબીન મગ અને અડદ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવીઆ અંગે અધિકારી મહમદ રિઝવાને જણાવેલ કે અત્યારે જે મગફળી સોયાબીન મગ અને અડદ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એના આધારે આવતીકાલથી જે સરકારની સૂચનાના આધારે ખરીદી શરૂ કરવામાં આવશે અને ભાવનગર જિલ્લામાં 5 એપીએમસી ભાવનગર , મહુવા , તળાજા ,ગારીયાધાર અને પાલીતાણા આ 5 કેન્દ્રો પરથી આવતીકાલથી ખરીદી કરવામાં આવશે. 37,000 જેટલા ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલતમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે વજન કાંટા ,સીસીટીવી કેમેરા, પાણીની વ્યવસ્થા અને પૂરતા બારદાનની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્ટેટ લેવલની એજન્સી છે તેની સાથે સંકલનમાં રહી એમને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને તેમને ખરીદ કેન્દ્ર પર તમામ સુવિધાઓ ઊભી કરી છે સૌથી વધારે ભાવનગર જિલ્લામાં અંદાજિત 37,000 જેટલા ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલ છે
ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવા શરૂ થવા જઈ રહી છે. દેશની પહેલી સહકારી ટેક્સી સેવા 'ભારત ટેક્સી' 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહી છે અને ડિસેમ્બરમાં રેગ્યુલર શરુ થશે, જેનું કમિશન-મુક્ત મોડેલ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને માટે ફાયદાકારક બનશે. 'ભારત ટેક્સી' એ રાષ્ટ્રીય સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ છે, જેનો વિકાસ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવર્સ સહ-માલિકો બનશે.હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ડ્રાઇવર્સને પોતાની કમાણીનો ૨૫ ટકા જેટલો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીને આપી દેવો પડે છે. તેની સામે 'ભારત ટેક્સી' 'નો કમિશન મોડેલ' પર આધારિત છે. ડ્રાઇવર્સને એક નક્કી કરેલી ફી સિવાય વધારાનું કોઈ કમિશન આપવું નહીં પડે, જેના કારણે દરેક સવારીની સંપૂર્ણ કમાણી ડ્રાઇવર્સના ખિસ્સામાં જશે. ડ્રાઇવર્સને સન્માન સાથે 'સારથી' નામ આપવામાં આવશે જે તેમના પદને ગૌરવ અપાવશે. હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ઊંચા ભાડા, પીક અવર્સમાં ગરજ પ્રમાણે થતી વધારે વસૂલાત અને મુસાફરોની સલામતીના પ્રશ્નો જેવી અનેક ફરિયાદો ઊઠી રહી છે. ભારત ટેક્સીના લોન્ચિંગનો મુખ્ય હેતુ આ બધી ફરિયાદોને દૂર કરીને મુસાફરોને ભરોસાપાત્ર અને પોસાય તેવી રાઈડ પૂરી પાડવાનો છે. આ સેવામાં મહિલા ડ્રાઇવર્સને પણ જોડીને મહિલા સુરક્ષાના મુદ્દાને પણ મહત્ત્વ આપવામાં આવશે. ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ ડિસેમ્બર મહિનામાં દિલ્હી ખાતે 650 જેટલા ડ્રાઇવર્સ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. સફળ પાયલોટિંગ બાદ દેશના અન્ય ભાગોમાં પણ આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.ગુજરાત માટે પણ મહત્ત્વની વિગત એ છે કે, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં આ સહકારી ટેક્સી સેવા શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે કેબ એગ્રીગેટર લાયસન્સ લેવું જરૂરી હોય છે.જેને લઈને રાજ્યના સહકાર વિભાગ દ્વારા રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારનું લક્ષ્ય ઝડપથી લાયસન્સ મેળવીને રાજ્યમાં આ આર્થિક અને સામાજિક રીતે સશક્તિકરણ કરતી ટેક્સી સેવાનો પ્રારંભ કરવાનો છે.'ભારત ટેક્સી' ભારતમાં પરિવહન ક્ષેત્રે એક નવો યુગ લાવશે, જ્યાં ટેક્નોલોજી, સહકાર અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો એકસાથે કામ કરશે.
મોરબીમાં ચોરી કરવા ઘૂસેલો શખસ પકડાયો:ઘરધણીએ રંગે હાથે ઝડપી પોલીસને સોંપ્યો, કાર્યવાહી શરૂ
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર ચોરી કરવા ઘૂસેલા એક શખ્સને ઘરધણીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ઘરધણીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પકડાયેલા શખ્સને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે રાત્રિના સમયે બની હતી. ગેસ્ટ હાઉસ રોડ પર ચંદ્રબિંદુ હેર આર્ટની બાજુમાં રહેતા અમિતભાઈ હરિદાસભાઈ વેદના બીજા મકાનના દરવાજાના તાળા તોડીને શખ્સ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમિતભાઈએ શખ્સને તાળા તોડતા જોઈ લીધો હતો અને તેને પકડી પાડ્યો હતો. તેમણે તરત જ 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
દિલ્હી બાદ હવે કાઠમંડુ એરપોર્ટ પર ટેક્નિકલ ખામી, તમામ વિમાનોની અવરજવર અટકી
Image Source: IANS Nepal Airport News: નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી-જતી તમામ ઉડાનો રોકી દેવાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દેવાઈ છે.
બોટાદના તલાટી મંત્રી પર હુમલો:જોટીગડા ગામે લાકડીઓથી માર મારતો વીડિયો વાઈરલ
બોટાદના જોટીગડા ગામે તલાટી મંત્રી પર થયેલા હુમલાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જેમાં તલાટી મંત્રીને લાકડીઓ અને પથ્થરો વડે માર મારવામાં આવ્યો હતો. હુમલાનો ભોગ બનનાર કમલ તાવીયા બોટાદના રહેવાસી છે. તેઓ નિવૃત્ત આર્મીમેન છે અને હાલ જેસર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, તલાટી મંત્રી કમલ બોટાદથી જેસર જઈ રહ્યા હતા ત્યારે જોટીગડા ગામ પાસેથી પસાર થતી વખતે આ ઘટના બની હતી. રસ્તામાં પશુઓ કાર વચ્ચે આવી જવાના મામલે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક શખ્સો તલાટી મંત્રીને લાકડીઓ અને પથ્થરો વડે નિર્દયતાથી માર મારી રહ્યા છે. આ ઘટના બાદ તલાટી મંત્રીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં કેટલાક અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સુરત શહેરમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની સૂચના હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે. સાથે જપ્ત કરાયેલ દારૂ નાશ માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે છેલ્લા માત્ર પાંચ જ દિવસમાં સુરત પોલીસના બે અલગ-અલગ ઝોન દ્વારા કબ્જે કરવામાં આવેલ કુલ 1,04,49,281ની કિંમતના વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આજે ઝોન-5માં 78.95 લાખના દારૂનો નાશઆજરોજ શનિવારે, સુરત પોલીસના ઝોન-5 દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝોન-5 વિસ્તારમાં સમાવિષ્ટ ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, અડાજણ અને રાંદેર પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા કેટલાક સમયમાં જુદા-જુદા ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરાયો હતો. પોલીસ દ્વારા કબ્જે કરાયેલ કુલ 78,95,388ની જંગી મત્તાના દારૂના જથ્થાનો ઉત્રાણ વિસ્તારમાં કાયદેસરની કાર્યવાહી કરી નાશ કરવામાં આવ્યો હતો. મંગળવારે ઝોન-4 માં 25.53 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો હતોઆ અગાઉ પાંચ દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ સુરત પોલીસના ઝોન-4 દ્વારા પણ સમાન કાર્યવાહી કરવામાં આવી હતી. ઝોન-4 માં આવતા ઉમરા, વેસુ, અઠવા, પાંડેસરા, ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ 25,53,893ની કિંમતના દારૂના મુદ્દામાલનો નાશ કરાયો હતો. આ જથ્થાનો નાશ પાંડેસરા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
જે વાલીઓ પોતાના સગીર વયના બાળકોને વાહન ચલાવવા માટે આપતા હોય છે તેવા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં કુવાડવા રોડ પર બે બાઈક સામ સામે અથડાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી પોતાના મિત્ર સાથે યુનિફોર્મ લેવા ગયો હતો દરમિયાન અકસ્માત સર્જાતા મોત નીપજ્યું છે હાલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યું છે. 6 નવેમ્બરના રોજ અકસ્માત સર્જાયો હતો આણંદપર ગામે રહેતા કેવલ નારણભાઈ મેવાળા (ઉ.વ.15) ગઇ તા.6 નવેમ્બરનાં રોજ બપોરનાં સમયે બાઇક લઈને મિત્ર સાથે કુવાડવા રોડ પર ડી માર્ટની સામે રોડ પરથી પસાર થતો હતો ત્યારે સામે આવી રહેલા બાઇક સાથે અકસ્માત થતા બંને બાઇક ચાલક નીચે પટકાયા હતા જેમા કેવલને ગંભીર ઇજાઓ થતા સિવીલ હોસ્પીટલનાં ઇમરજન્સી વોર્ડમા ખસેડાયો હતો જયા તેમનુ સારવાર દરમ્યાન ગઇકાલે સાંજે મોત નીપજયુ હતુ. મિત્ર સાથે કુવાડવા રોડ પર યુનીફોર્મ લેવા માટે જઇ રહ્યો હતો બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કેવલ પોતાના સ્કુલ મિત્ર સાથે કુવાડવા રોડ પર યુનીફોર્મ લેવા માટે જઇ રહ્યો હતો દરમિયાન અજાણ્યા એકટીવાનાં ચાલકે અકસ્માત સર્જયો હતો. મૃતક કેવલ બે ભાઇમા નાનો હતો અને તેમનાં પિતા ચા ની હોટલ ધરાવે છે. કેવલનાં આકસ્મિક મોતથી પરીવારમા શોક છવાઇ જવા પામ્યો છે.
પોરબંદરની ચોપાટી પરથી દરિયાઈ સાપ મળી આવ્યો:સમુદ્રમાં રહેવા ટેવાયેલો સાપ ભેખડમાં જોવા મળ્યો
પોરબંદરની ચોપાટી પરથી એક દરિયાઈ સાપ મળી આવ્યો હતો. ફરવા આવેલા પ્રવાસીઓએ તેને ભેખડમાં જોતા સ્નેકકેચર રઝીમ બ્લોચને જાણ કરી હતી, જેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. પ્રવાસીઓ ચોપાટી પર સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન ભેખડો વચ્ચે રેતીમાં પડેલા આશરે ત્રણ ફૂટ લાંબા વિચિત્ર સાપ પર પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને તેઓ ભયભીત થઈ ગયા હતા અને તાત્કાલિક સ્નેકકેચરનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ રઝીમ બ્લોચ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે દરિયાઈ સાપ સામાન્ય રીતે કાંઠા પર જોવા મળતા નથી, તેથી આ ઘટના આશ્ચર્યજનક હતી. તેમણે સાપને પકડીને સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો. બ્લોચે વધુમાં જણાવ્યું કે આ પ્રકારના સાપ દરિયાના પાણીમાં અથવા ખાડીના કાદવમાં જોવા મળે છે. ચોપાટી પર કાંઠે આવવાનો આ પ્રથમ કિસ્સો છે. આ સાપ ઝેરી હોય છે, પરંતુ સામાન્ય રીતે તે મનુષ્ય માટે જોખમી હોતા નથી. પોરબંદરના સર્પવિદ્દ અને દરિયાઈ સાપના જાણકારે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા સાપ ઘણીવાર માછીમારોની જાળમાં ફસાઈ જાય છે. માછીમારો પોતાની જાળ કાપીને પણ તેમનો જીવ બચાવે છે. તેમણે સલાહ આપી કે જાળમાં ફસાયેલા સાપને ગ્લોવ્ઝ પહેરીને મુક્ત કરવા જોઈએ. દરિયાઈ સાપ ઇકોસિસ્ટમ માટે મહત્વના છે. જો કોઈને આ સાપ કરડે તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે. આવા સાપ મુખ્યત્વે ચેરના વૃક્ષોની આસપાસ અને સમુદ્રમાં જોવા મળે છે અને કાંઠે ઓછા પ્રમાણમાં આવે છે.
આંગણવાડી કાર્યકર્ત્રીઓએ સિમ કાર્ડ પરત કર્યા:2017થી મોબાઈલ ન મળતા કામગીરીમાં મુશ્કેલી, 5G ફોનની માંગ
વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્ત્રીઓએ સિમ કાર્ડ જમા કરાવી વિરોધ નોંધાવ્યો છે. વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ આ વિરોધ પ્રદર્શન તાલુકાની ઘટક કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યકર્ત્રીઓ 5G ફોનની માંગ કરી રહી છે. કાર્યકર્ત્રીઓએ જણાવ્યું કે પોષણ ટ્રેકર અને અન્ય કામગીરી માટે મોબાઈલ દ્વારા માહિતી આપવી ફરજિયાત છે. જોકે, વર્ષ 2017 પછી તેમને નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. જૂના ફોન અને 5G ફોનના અભાવે તેમની દૈનિક કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, તેમને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેના કારણે તેમની હાલત કફોડી બની છે. કોર્ટે ₹24,000 પગાર ચૂકવવા આદેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કાર્યકર્ત્રીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકર્ત્રીઓએ વારંવાર સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, અંતે ન્યાય મેળવવા માટે તેમને સિમ કાર્ડ જમા કરાવવાની ફરજ પડી છે. તેઓ 5G ફોન આપવાની માંગ સાથે આ વિરોધ નોંધાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આંગણવાડીમાં બાળકોને નાસ્તો, ભોજન અને અન્ય પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ રહેશે. કાર્યકર્ત્રીઓએ તેમની રજૂઆતને યોગ્ય સ્તરે પહોંચાડી ન્યાય મળે તે માટે મદદ કરવા વિનંતી કરી છે. કાર્યકર્ત્રીઓએ ચેતવણી આપી છે કે આ મુદ્દે કોઈપણ પ્રકારનું દબાણ, ધાકધમકી કે માનસિક ત્રાસ આપવો ગેરકાયદેસર અને બંધારણીય હકોનું ઉલ્લંઘન ગણાશે.
પંચમહાલ જિલ્લામાં ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર@૧૫૦ યુનિટી માર્ચ/પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આગામી ૧૮ નવેમ્બરના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે ગોધરા તાલુકામાં યોજાશે. આ પદયાત્રાના સુચારું આયોજન માટે પ્રાંત અધિકારી એન.બી. મોદીની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીની કચેરી, ગોધરા ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી એન.બી. મોદીએ કાર્યક્રમના આયોજન અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પદયાત્રા ગોધરાના સરદાર નગર ખંડથી શરૂ થશે અને વિશ્વકર્મા ચોક, મોચીવાડ, પટેલવાડા, પોલન બજાર, રેલવેસ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, રણછોડજી મંદિર, રામસાગર તળાવ, નગરપાલિકા ગોધરા, પાંજરાપોળ, બીવી ગાંધી પેટ્રોલ પંપ થઈને વાવડીબુજર્ગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થશે. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક, ચીફ ઓફિસર નગરપાલિકા, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જિલ્લાના નગરજનોને આ ભવ્ય પદયાત્રામાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદના સરસપુરમાં ગત રાતે બે સમાજના લોકો લાકડીઓ લઇને આમને સામને આવી ગયા હતા.બંને પક્ષના લોકો એટલી હદે ઉશ્કેરાઇ ગયા હતા કે સામાન્ય તકરાર પથ્થરમારામાં પરિણમી હતી. મોટી સંખ્યામાં ટોળાએ સામસામો પથ્થરમારો કરી ત્યાં વાહનોમાં તોડફોડ કરી હતી. જોકે પોલીસે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લઇને પાંચ આરોપીને ઝડપી લીધા હતા. અગાઉ નવરાત્રિમાં થયેલા ઝઘડાની અદાવતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. સરસપુરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારોઅમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને ગત શુક્રવારે રાત્રે સરસપુર બોરડીવટનગર પાસેના બળિયાદેવ મંદિર પાસે પથ્થરમારો થતાં મોટી સંખ્યામાં ટોળા ભેગા થયાનો મેસેજ મળ્યો હતો. શહેરકોટડા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સરસપુર બોરડીવટનગર નજીકના બળિયાદેવ મંદિર પાસે 35થી વધુ લોકોનું ટોળુ એકત્રિત થઇને હાથમાં લાકડીઓ સાથે પથ્થરમારો કરતુ હતું. પોલીસે મામલો હાથમાં લઇને વધુ ફોર્સ બોલાવી હતી. વાહનોમાં તોડફોડ, પાંચ આરોપીને ઝડપાયાબાદમાં સ્થળ પરથી જ આરોપી પીયૂષ પટણી, રવિ પટણી, વિશાલ ઠાકોર, કૃણાલ ચૌહાણ, વિરાજ ઠાકોરને ઝડપી લીધા હતાં. પોલીસે મામલો થાળે પાડીને તપાસ કરતા આરોપીઓએ અહીં પડેલા રિક્ષા અને ગાડીઓ સહિતના વાહનોના કાચ ફોડીને તોડફોડ પણ કરી હતી. નવરાત્રિમાં થયેલા ઝઘડાની અદાવતને લઇને ફરી મારામારીપોલીસે પાંચ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરતા અગાઉ નવરાત્રિમાં થયેલા ઝઘડાની અદાવતને લઇને ફરી ઝઘડો થતાં બે સમાજના લોકોએ આમને સામને આવીને પથ્થરમારો કર્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપી અમિત પટણી, સન્ની પટણી, સાગર પટણી, વિક્કી પટણી, દિલીપ ઠાકોર સહિત અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.
ડાંગર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000 વળતર:જાહેરાત સામે નારાજગી, ₹50,000 ખર્ચ સામે ₹22,000 અપૂરતા
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત સામે જિલ્લાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે તેમને ચૂકવવામાં આવતું વળતર અપૂરતું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે કુલ ₹10,000 કરોડની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ, પ્રતિ હેક્ટર ₹22,000નું વળતર આપવામાં આવશે, જે વધુમાં વધુ 2 હેક્ટર જમીનની નુકસાની માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે ચૂકવવામાં આવશે. ખેડૂતોના મતે, એક હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી કરવા માટે રોપણી, ખાતર, બિયારણ અને મજૂરી સહિત ₹50,000થી વધુનો ખર્ચ થાય છે. તેની સરખામણીમાં, સરકારે જાહેર કરેલું ₹22,000 પ્રતિ હેક્ટરનું વળતર ઘણું ઓછું છે અને તેમના ખર્ચને પહોંચી વળવા પૂરતું નથી. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે ખેડૂતોના ખેતરમાં 33%થી વધુ નુકસાન થયું છે, તેમને વધુ સહાયની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી હોવાથી, વલસાડ જિલ્લાના ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતના સંસાધન અધિકારી એ.એ. ભીમાણી પાસેથી અન્ય વિભાગોના ત્રણ વધારાના ચાર્જ પરત લેવાનો જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) એ આદેશ કર્યો છે. આ નિર્ણયથી જિલ્લા પંચાયત વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે. એ.એ. ભીમાણી પાસે વિકાસ શાખાના વડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અને સામાન્ય શાખાની કચેરીના વડા તરીકેના વધારાના ચાર્જ હતા. ડીડીઓએ આ તમામ ચાર્જ તાત્કાલિક અસરથી પરત લેવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અને સામાન્ય શાખાની કચેરીના વડા તરીકેનો ચાર્જ જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી ડી.એચ. ઘેલાણીને સોંપવામાં આવ્યો છે. જ્યારે વિકાસ શાખાના વડાનો ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) કુ. વી.આર. માકડિયાને સુપરત કરાયો છે. આમ, એક જ આદેશથી એ.એ. ભીમાણી પાસેથી ત્રણ મહત્વના વધારાના ચાર્જ પરત ખેંચી લેવામાં આવ્યા છે.
ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્રએ જિલ્લામાં ખનીજની બિન-અધિકૃત ખનન અને વહન પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવી છે. છેલ્લા 8 દિવસમાં વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.ત્યારે છેલ્લા 24 કલાકના ગાળામાં જ અલગ અલગ સ્થળોથી કુલ 8 ડમ્પર અને ટ્રેક્ટર જપ્ત કરી 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજનું ગેરકાયદે વહન કરી રહેલા વાહનો જપ્ત કરી કાર્યવાહીગાંધીનગર ભૂસ્તર તંત્રએ જિલ્લામાં ખનીજની બિન-અધિકૃત ખનન અને વહન પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા વધુ એક વખત સઘન ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે ભૂસ્તર તંત્રની ટીમ 8 દીવસથી જિલ્લાનાં અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી રહી હતી. તારે છેલ્લા ચોવીસ કલાકમાં ટીમ ધ્વારા બ્લેકટ્રેપ, સાદી રેતી અને ક્વાર્ટ્ઝ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 8 વાહનો પકડવામાં સફળતા હાંસલ કરી છે. જેમાં બાલાપીર સર્કલ,લેકાવાળા,તેરસા ચોકડી,પુન્દ્રસણ,દહેગામ,નાના ચિલોડા-પાલજ રોડ,મોટી આદરજ રોડ તેમજ વાવોલ વિસ્તારથી સાત ડમ્ફર અને એક ટ્રેકટર ઝડપી લેવાયું છે. વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવીઆ તમામ વાહનોને જપ્ત કરીને તેમની કુલ કિંમત આશરે 2.40 કરોડ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં રોયલ્ટી પાસ વગર વહન કરતા તેમજ પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ખનીજનું વહન કરતા વાહનોને પકડી પાડવામાં આવ્યા છે. અને જપ્ત થયેલા વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં તપાસ ટીમે જે જગ્યાઓ પર ખનીજનું બિન-અધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યાંના સાદી રેતીના ખાડાના જથ્થાની માપણી પણ શરૂ કરી છે. આ માપણીના આધારે જવાબદાર ઈસમો પાસેથી દંડકીય રકમની વસૂલાત કરવામાં આવશે.
જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ 9 નવેમ્બર અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જૂનાગઢ જિલ્લામાં આગમન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રીનું કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ભાવભેર સ્વાગત કર્યું હતું. આવતીકાલે યુનિટી માર્ચનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 9 નવેમ્બર 2025ના રોજ, જૂનાગઢ ખાતેથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ યુનિટી માર્ચનું આયોજન સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના યોગદાનને બિરદાવવા માટે કરવામાં આવ્યું છે, ખાસ કરીને જૂનાગઢને માતૃભૂમિમાં જોડવાના તેમના ગૌરવશાળી પ્રયાસોને ઉજાગર કરવા માટે.મુખ્યમંત્રી આવતીકાલે સવારે 7 કલાક બાદ જૂનાગઢ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરશે. મુખ્ય સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક ઉપક્રમે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. આ પદયાત્રા ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી શરૂ થશે અને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક (જીમખાના) ખાતે સમાપન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્યો સર્વ દેવાભાઈ માલમ, ભગવાનજી કરગટીયા, અરવિંદ લાડાણી, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ, અગ્રણી વેલજી મસાણી સહિતના મહાનુભાવોએ આવકાર આપ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન છે.સરદાર વલ્લભભાઈ પટેલે દુરદર્શી ,અડગ નિર્ણય શક્તિના લીધે આ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પદયાત્રામાં સહભાગી બનશે. આ પદયાત્રા નો રૂટ બહાઉદીન કોલેજ થી મોતીબાગ ,ઝાંસી રાણી સર્કલ ,બસ સ્ટેન્ડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ખલીલપુર મેન રોડ, બાપુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદાર નગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધીચોક, ચીતાખાના ચોક કાવા ચોક થી સરદાર ચોક જીમખાના સુધીનો રહેશે. આ પદયાત્રા દરમિયાન જુદી જુદી સંસ્થાઓ દ્વારા અલગ અલગ કુલ 13 જગ્યાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.આ 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રામાં નાગરિકો ,કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો , સંગઠનો, ધાર્મિક સંસ્થા,સ્થાનિક સાધુ સંતો, રમતવીરો, સૈનિક પરિવારો, પ્રબુદ્ધ નાગરિકો ,કામદારો, સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે. તેમજ આ પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરશે.સમગ્ર રૂટ પર 13 જેટલા અભિવાદન પ્લેટફોર્મ બનાવવામાં આવશે જ્યાં સાંસ્કૃતિક કૃતિઓ અને યાત્રાનું સ્વાગત સહિત પુષ્પ વર્ષા અને આવકારવાના કાર્યક્રમો થશે.
ગુજરાત સરકારે ખેડૂતો માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, કોંગ્રેસે આ પેકેજને 'અપૂરતું અને અપમાનજનક' ગણાવી તેની ટીકા કરી છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ આ પેકેજને અસંવેદનશીલ ગણાવ્યું હતું. કોંગ્રેસના મતે, આ પેકેજ 12.5 વીઘા જમીન ધરાવતા ખેડૂત માટે મગફળીના બિયારણ અને 4 હેક્ટર જમીન ધારક માટે ખાતરની ખરીદી પણ માંડ પૂરી પાડી શકે તેવું છે. તેઓએ જણાવ્યું કે, આ રકમ ખેડૂતોનું અપમાન કરવા સમાન છે. વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાતના 56 લાખ ખેડૂતો માટે કુલ બજેટના માત્ર 6% રકમ ફાળવવામાં આવી હતી. એટલે કે, ₹3.70 લાખ કરોડના કુલ બજેટમાંથી ખેડૂતો માટે ફક્ત ₹22,000 કરોડ જ ફાળવાયા હતા, જે ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા દર્શાવે છે, તેમ કોંગ્રેસે ઉમેર્યું હતું. કોંગ્રેસે 1987ના દુષ્કાળ સમયની કોંગ્રેસ સરકારની કામગીરી સાથે વર્તમાન પેકેજની સરખામણી કરી હતી. તે સમયે ડોલરનો ભાવ ₹12 હતો ત્યારે કોંગ્રેસ સરકારે મોટા રાહત પેકેજ ફાળવ્યા હતા. તેમાં પશુ આહાર, ગૌશાળાઓ, બિયારણ, પીવાના પાણીની વ્યવસ્થા, ગ્રામીણ રોજગારી અને ઘાસચારાની વ્યવસ્થાનો સમાવેશ થતો હતો. ઉપરાંત, 20,000 ચેકડેમ અને 370 તળાવો બનાવી પાણીના ભૂગર્ભ સંગ્રહની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજુ ઓડેદરાએ ખેડૂતોને સરકાર પર નિર્ભર ન રહીને જાતે પગભર થવા પણ હાકલ કરી હતી.
વડોદરા શહેરના છાણી ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણના આગમનને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે દ્વિ શતાબ્દી મહોત્સવ આવતીકાલે ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે દ્વિ શતાબ્દી મહોત્સવ યોજાશેસંવત 1882ના કારતક વદ પાંચમના શુભ દિને ભગવાન શ્રી હરિ, આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજશ્રી, પાંચસો પરમહંસો તથા હજારો હરિભક્તો સાથે છાણી ગામ પધાર્યા હતા. તેઓએ સાંકરદા ગામે રાત્રી રોકાણ કર્યા બાદ છાણીમાં પ્રવેશ કર્યો હતો. રાજકુંવરે શ્રી હરિનું ભવ્ય સ્વાગત કર્યુંવડોદરા નરેશ સર શ્રી સયાજીરાવ ગાયકવાડ (બીજા)ના આમંત્રણને માન આપીને ભગવાન શ્રી હરિ છાણી પધાર્યા હતા. ગાયકવાડ સરકારના મોટા રાજકુંવર શ્રી ગણપતરાવે સરકાર વતી શ્રી હરિનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. છાણી ગામ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીની કર્મભૂમિ અને સ.ગુ.શ્રી મુક્તાનંદ સ્વામીની સત્સંગની 'માં' તરીકે પણ ઓળખાય છે. 200 વર્ષ પૂર્ણ થવાના દિવ્ય પ્રસંગે વિવિધ કાર્યક્રમોઆ 200 વર્ષ પૂર્ણ થવાના દિવ્ય પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતિ આચાર્ય 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી આ મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ વડતાલ શાખા વડોદરાના ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ છાણી વડોદરા દ્વારા આ કાર્યક્રમ યોજાશે. મહાપૂજા, દિવ્ય શોભાયાત્રા, શાકોત્સવ અને દિવ્ય માસિક સત્સંગ સભાનું આયોજન આવતીકાલે સંવત 2082ના કારતક વદ પાંચમના રોજ શ્રી હરિ પ્રસાદીભૂત સ્થાનમાં મહાપૂજા, દિવ્ય શોભાયાત્રા, શાકોત્સવ અને દિવ્ય માસિક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે ધામોધામથી પૂજ્ય સંતો તથા સાંખ્ય યોગી બહેનો પધારશે. શ્રી હરિના ભક્તજનોને પ્રસાદી સ્થાન દર્શન, મહાપૂજા તથા ધર્મકુળના અલૌકિક દર્શનનો લાભ લેવા છાણી પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી રાજ્યકક્ષાની જનજાતિય ગૌરવ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ગૌરવ રથ યાત્રા અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિલોમીટરના આદિજાતિ વિસ્તારને આવરી લેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન બિરસા મુંડાના બલિદાનને ઉજાગર કરવાનો અને આદિજાતિ સમાજના ભવ્ય ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો છે. જનજાતિય ગૌરવ યાત્રા રથનું સાબરકાંઠા જિલ્લાના પોશીનાના પડાપાટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે રાત્રીસભા યોજાઈ હતી. ખેડબ્રહ્માના નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ અને ચિઠોડા સહિતના વિસ્તારોમાં પણ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિજાતિ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. પાલ ખાતે મહાનુભાવો દ્વારા આદિજાતિ શહીદવીરોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ભગવાન બિરસા મુંડાનું જીવનકવન નિહાળ્યું હતું. આ ઉપરાંત, આદિજાતિ તેજસ્વી તારલાઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ રથ યાત્રામાં મંત્રી રમેશ કટારા, સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પંચાયત સદસ્યો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય નર્કોટિક્સ બ્યુરો (CNB) નિમચની ટીમે ગેરકાયદેસર દવાઓના વેપાર મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો, જ્યારે CNBની ટીમે ધાનેરા અને થરાદમાં દરોડા પાડીને વિઠ્ઠલ જોષી અને દીપક માહેશ્વરી નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આજે ધરપકડ કરાયેલા અમદાવાદની ફાર્મા કંપનીના માલિક અને તેના પતિને પણ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓ અમદાવાદની એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સમીક્ષા મોદી અને પતિ સુનિલ મોદી છેલ્લા આઠ માસથી ફરાર હતા. આ બંને કંપનીના નામનો દુરુપયોગ કરીને દવાઓનો વેપાર કરતા હતા. કંપનીને ટ્રેસ કરતા જાણવા મળ્યું કે તે NDPS એક્ટ હેઠળની દવાઓ બનાવતી જ ન હતી. ગઈકાલ ગાંધીનગરથી ઝડપાયેલા આરોપીઓ કાયદેસર રીતે NDPS દવાઓ (જે પીડા વ્યવસ્થાપન માટે વપરાય છે અને NDPS કાયદા હેઠળ આવે છે) ખરીદીને તેને ગેરકાયદેસર બજારમાં સપ્લાય કરતા હતા. આ આરોપીઓ વારંવાર રહેઠાણ બદલતા હતા. અંદાજે 5 કરોડની દવાઓ બજારમાં સપ્લાય કરીતાજેતરમાં તેમના ઠેકાણા પર દરોડા પાડવામાં આવતા ટ્રામાડોલ, લોરાઝેપામ જેવી NDPS દવાઓના ઇન્જેક્શન અને ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 3.80 લાખ રૂપિયા રોકડા અને ગર્ભપાત માટેની પ્રતિબંધિત MTP કીટ પણ મળી આવી હતી. ગર્ભપાત કીટ અંગે ડ્રગ ઓથોરિટીઝને જાણ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ અત્યાર સુધીમાં 42 લાખ 51 હજારથી વધુ ટેબ્લેટ્સ અથવા કેપ્સ્યુલ્સ (જેની કિંમત 5 કરોડથી વધુ છે) અને લગભગ 15,500 કોડીનની બોટલો ગેરકાયદેસર બજારમાં સપ્લાય કરી છે. ગોડાઉનો અને દુકાનોમાંથી મળી કરોડોની દવાઓSP નર્કોટિક્સ બ્યુરો પ્રવીણ ધૂલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ધાનેરા અને થરાદમાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ધાનેરાથી વિઠ્ઠલ જોષી અને થરાદથી દીપક માહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ગોડાઉનો અને દુકાનોમાંથી ગેરકાયદેસર દવાનો જથ્થો મળ્યો હતો. આ બંને આરોપીઓ હાલ પાલનપુર જેલમાં છે. ત્યારે આજે કંપનીના માલિક અને તેના પતિને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડ મેળવવામાં આવશે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.
સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં આકારણી સર્વેયર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે વર્ષ 2004માં નોંધાયેલા લાંચ કેસમાં સુરતની કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રૂ. 2,000ની લાંચ લેતા પકડાયાના આ કેસમાં, સરકારી પક્ષ લાંચના ગુનાના મુખ્ય તત્વો સાબિત કરવામાં નિષ્ફળ નીવડતાં કોર્ટે આરોપી સંજય દેસાઈને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વર્ષ 2004નો સર્વેયર લાંચ કેસઆ કેસની વિગતો મુજબ, વર્ષ 2004માં સંજય બટુ દેસાઈ (રહે. સ્મૃતિ સોસાયટી, કતારગામ જીઆઈડીસી) સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન સ્થિત આકારણી કચેરીમાં આકારણી સર્વેયર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન, વેડરોડ ખાતે રહેતા લાલુભા ચાવડાએ પોતાનું મકાન નવેસરથી બનાવ્યું હતું. આ નવા મકાનની આકારણી કરવાની કાર્યવાહી માટે સર્વેયર તરીકે સંજય દેસાઈ સ્થળ પર ગયા હતા. સર્વેયરે લાંચની માગણી કરીફરિયાદ પક્ષના આરોપ મુજબ, આકારણીની કાર્યવાહી દરમિયાન સંજય દેસાઈએ લાલુભા ચાવડા પાસે લાંચની માંગણી કરી હતી. આરોપ હતો કે જો લાલુભા લાંચ આપે તો તેમનો વેરો ભરવો ન પડે અને મકાન ચાલુ વર્ષે જ બનાવવામાં આવ્યું છે તેવું રેકોર્ડ પર દર્શાવી આપવા માટે સંજય દેસાઈએ ખાતરી આપી હતી. લાંચ સ્વીકારતા રંગેહાથ પકડ્યાઆ લાંચની માંગણી અંગે લાલુભા ચાવડાએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન સંજય દેસાઈને લાલુભા પાસેથી રૂ. 2,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. ACBએ તાત્કાલિક તેમની ધરપકડ કરી, લાંચ રુશ્વત ધારા હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ કાર્યવાહી અને બચાવ પક્ષની દલીલોઆ કેસની ઈન્સાફી કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષ તરફથી કુલ ૫ સાહેદોને તપાસવામાં આવ્યા હતા અને તેમની જુબાની લેવામાં આવી હતી.આરોપી સંજય દેસાઈના બચાવ પક્ષે સિનિયર વકીલ ગૌતમ આઈ. દેસાઈ તથા વકીલ ચેતન કે. શાસ્ત્રીએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી. બચાવ પક્ષના વકીલો દ્વારા સરકારી સાહેદોની વિદ્વતાપૂર્વકની ઉલટતપાસ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદ પક્ષની વાર્તામાં રહેલી ખામીઓ અને વિરોધાભાસોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી સંજય દેસાઈને લાંચના આરોપોમાંથી નિર્દોષ છોડ્યોતમામ સાક્ષીઓની જુબાની, પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, લાંચના ગુનાને સાબિત કરવા માટે ત્રણ મહત્વના તત્વો - માંગણી, સ્વીકાર અને સ્વીકૃતિ - નિઃશંકપણે પુરવાર કરવા જરૂરી છે. કોર્ટે ઠરાવ્યું કે, બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલટતપાસ અને દલીલોને ધ્યાને લેતા, ફરિયાદ પક્ષ આ ત્રણેય મુખ્ય તત્વોને સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. આ મહત્વપૂર્ણ અવલોકન સાથે, કોર્ટે આરોપી સંજય દેસાઈને તેમની સામેના લાંચના આરોપોમાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં ડો. હિરા સોલંકી દ્વારા પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરાયુંહતું.આ સપ્તાહમાં રાજ્યના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ હાજરી આપી હતી. દિવ્યેશ સોલંકી ઉપરાંત પ્રવિણ કોળી, ઉદ્યોગપતિ લાલ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભી, ભાવેશ ચૌહાણ, મનસુખ કાણોત્રરા, અને દિપક કાંબડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોલંકી પરિવાર દ્વારા દિવ્યેશ સોલંકી અને અન્ય આગેવાનોનું ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. તેમને શાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દિવ્યેશ સોલંકીએ પોતાના ઉદબોધનમાં યુવક-યુવતીઓને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનો અને દીકરીઓ મોબાઈલમાં વધુ સમય બગાડે છે. તેના બદલે સમાજના ઉત્થાન અને પરિવારને સદ્ધર કરવા માટે મોબાઈલને બાજુમાં મૂકીને સમાજ માટે એક કલાક ફાળવવો જોઈએ.
ગીરના જંગલોની ઇકોસિસ્ટમ પર વધી રહેલા અનિયંત્રિત માનવીય પ્રભાવને કારણે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી જાહેર હિતની અરજી (PIL) બાદ વહીવટી તંત્ર સક્રિય થયું છે. વડી અદાલતે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના કલેક્ટરોને ગીરની આસપાસના તમામ વાણિજ્ય એકમોની તપાસ કરીને વિગતવાર રિપોર્ટ કોર્ટમાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે.ગીર જંગલની સરહદ અને અંદર આવેલા ત્રણ જિલ્લાના 100થી વધુ ગામોના સીમ વિસ્તારોમાં અંદાજે 300થી વધુ હોટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસ અને હોમ સ્ટે જેવા વાણિજ્યક એકમો ઊભા થયા છે. આ અનિયંત્રિત બાંધકામો અને પ્રવાસીઓની વધતી અવરજવરથી ગીર જંગલની ઇકોસિસ્ટમને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. હાઈકોર્ટે કલેક્ટરોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વાણિજ્યક હેતુના બાંધકામવાળા કેટલા યુનિટ્સ છે તેની ગણતરી કરવી.તેમણે જરૂરી સરકારી મંજૂરીઓ મેળવી છે કે કેમ, તેની ચકાસણી કરવી.કેટલા એકમો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે, તેની તપાસ કરવી.આ અંગેનો વિગતવાર રિપોર્ટ વડી અદાલતને સુપરત કરવાનો રહેશે. જૂનાગઢમાં સંયુક્ત ટીમો દ્વારા ચેકિંગ શરૂ હાઈકોર્ટના આદેશના પગલે જૂનાગઢના જિલ્લા કલેક્ટરના નિર્દેશથી ગીર વિસ્તારના જંગલ નજીકના ગામોમાં પથરાયેલા હોટલ સહિતના વાણિજ્યક એકમોની તપાસ માટે પાંચ સંયુક્ત ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં મહેસૂલ વિભાગ, વન વિભાગ અને સ્થાનિક તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.તપાસ ટીમો દ્વારા સ્થળ પર દરેક એકમની નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર સઘન ચકાસણી કરવામાં આવી રહી છેજએમાં જમીન બિનખેતી (NA) થયેલી છે કે નહીં.નદી-કોતરોથી બાંધકામનું અંતર કેટલું છે.વન વિભાગની NOC (ના વાંધા પ્રમાણપત્ર) છે કે નહીં.પરવાનગીનો મૂળ હેતુ રહેણાંક કે વાણિજ્યક),એકમનું GPS લોકેશન.મંજૂરી કરતાં વધુ બાંધકામ છે કે કેમ,વીજ વપરાશનો હેતુ અને આરક્ષિત જંગલથી એકમ કેટલી હદમાં છે. વન અને પર્યાવરણ વિભાગના 2015, 2016 અને 20/02/2025 ના પરિપત્રોને ટાંકીને આ તપાસ અને રિપોર્ટ કરવાની કાર્યવાહીથી વહીવટી તંત્ર અત્યંત સક્રિય બન્યું છે. તમામ તપાસના રિપોર્ટ જૂનાગઢ કલેક્ટરને સોંપાયા બાદ વડી અદાલતમાં રજૂ કરવામાં આવશે. ભાલછેલ નજીક આવેલા રિસોર્ટના માલિક મહેન્દ્રસિંહ સોલંકીએ તંત્રની આ કામગીરીને આવકારી છે. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેક્ટર દ્વારા સાસણ ગીર વિસ્તારમાં આવેલા હોટેલ-ફાર્મ હાઉસ પર સર્વેની કામગીરી કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે, તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે.આ કાર્યવાહી એટલા માટે જરૂરી છે, કારણ કે પશુ-પક્ષી અને પ્રકૃતિને નુકસાન ન થાય અને તે હિજરત ન કરે, તેમ જ તેની જાળવણી થાય. અમે તંત્રની આ કામગીરીને આવકાર્ય છીએ અને આ વિસ્તારના લોકોને પણ તંત્રની આ કામગીરીમાં સાથ આપવા અપીલ કરીએ છીએ. હાલ તંત્ર દ્વારા સર્વે અને ચેકિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ગીરની ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
ગુજરાત હાઇકોર્ટમાં એક વ્યક્તિના પૂર્વ સાસુ સસરાએ ફેમિલી કોર્ટના હુકમ ઉપર સ્ટે માટે અરજી કરી હતી. તેમના પૂર્વ જમાઈને પૌત્રીની કસ્ટડી મેળવવા અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને ફેમિલી કોર્ટે ગ્રાહ્ય રાખીને બાળકીના કુદરતી પિતાને બાળકીને કસ્ટડી આપવા હુકમ કર્યો છે. બાળકીની માતાનું 2022માં અવસાન થયુંઅરજદારો વતી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે બાળકીના પિતાએ તેની કોઈ જવાબદારી અત્યારસુધી ઉપાડી નથી. તે બાળકીને મળવા કદી મળવા આવ્યો નથી. અરજદારની એક માત્ર દીકરી જે બાળકીની માતા હતી. જેનું વર્ષ 2022માં અવસાન થયું છે. હવે નાના નાની માટે તેમની પૌત્રી એકમાત્ર જીવવાનો સહારો છે. દીકરી ભણવામાં હોંશિયાર છે. અરજદારની દીકરીએ પૂર્વ જમાઈ સામે છૂટાછેડા ફાઇલ કર્યા હતા. અત્યારે દીકરી તેના નાના નાની સાથે અમદાવાદમાં રહે છેસગીર દીકરીના પિતાએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે દીકરીના પિતા પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં MR તરીકે 14 વર્ષથી નોકરી કરે છે. તેમના કામનો સમય સામાન્ય રીતે સવારે 11થી 05 નો છે. તે પોતાના માતા પિતા અને ભાઈ ભાભી સાથે રહે છે. તેની પૂર્વ પત્નીએ બીજા લગ્ન કર્યા હતા, પણ તેને બીજા લગ્ન કર્યા નથી. અમદાવાદમાં મૃતક પત્નીના માતાપિતા અને તે પોતે મહેસાણામાં રહે છે. અત્યારે દીકરી તેના નાના નાની સાથે અમદાવાદમાં રહે છે. માતાએ બીજા લગ્ન કર્યા ને દીકરીની કસ્ટડી પોતાની પાસે રાખીદીકરીના માતાના અવસાન પહેલા દીકરી અંગ્રેજી મીડિયમમાં ભણતી હતી. પરંતુ વર્ષ 2022 માં તેની માતાના મૃત્યુ બાદ તેને ગુજરાતી મીડિયમમા મૂકવામાં આવી છે. દીકરીની માતા અમદાવાદ સિવિલમાં ડોક્ટર હતી. પતિ અને પત્નીના લગ્ન વર્ષ 2009 માં થયા હતા. વર્ષ 2016 માં બાળકીનો જન્મ થયો હતોં. બાદમાં લગ્ન જીવનમાં મતભેદ સર્જાતા પતિ અને પત્ની અલગ રહેતા હતા, દીકરી માતા પાસે રહેતી હતી. વર્ષ 2018 માં તેઓએ સહમતિથી છૂટાછેડા લીધા હતા. બાદમાં દીકરીની માતાએ બીજા લગ્ન કર્યા હતા. દીકરીની કસ્ટડી તેની માતા પાસે જ હતી. ફેમિલી કોર્ટે દીકરીની કસ્ટડી તેના કુદરતી પિતાને આપવા હુકમ કર્યોપરંતુ વર્ષ 2022માં દીકરીની માતાનું મૃત્યુ નિપજ્યું હતું. હવે દીકરી તેના વૃદ્ધ નાના નાની સાથે રહે છે. તેઓ દીકરીની કસ્ટડી તેને કુદરતી પિતાને આપવા તૈયાર નથી. ફેમિલી કોર્ટે દીકરીની કસ્ટડી તેના કુદરતી પિતાને આપવા હુકમ કર્યો છે. સાસુ સસરા દીકરી સાથે પિતાને મળવા દેતા નથી. તેઓની પાસે પૌત્રીને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા પૂરતા સંસાધનો નથી. સાસુ સસરા પણ બહુ ભણેલા નથી. દીકરી 09 વર્ષની છે અને ધોરણ 04 માં અભ્યાસ કરે છે. પિતા બાળકીના બર્થ ડેમાં કેક લઈને ગયા પણ મળવા દેવાયા નહીંપિતાએ પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન કોર્ટ સમક્ષ મૂક્યું હતુ.તે B.sc વિથ માઇક્રોબાયોલોજી ભણેલો છે. બાળકીની માતાના મૃત્યુ બાદ વર્ષ 2022 થી બાળકી ગુજરાતી મીડિયમામા ભણે છે. પિતા તેને મહેસાણામાં સારી અંગ્રેજી શાળામાં ભણવા મૂકવાં માંગે છે. પિતા બાળકીના બર્થ ડે ના દિવસે કેક લઈને ગયા હતા, પણ તેને બાળકી સાથે મળવા દેવાય નહોતા. જ્યારે બાળકીની કુદરતી માતા જીવિત હતી ત્યારે તેની કસ્ટડી તેની પાસે હોવાનો વાંધો નહોતો, પણ હવે શું ? પિતાના બેંક એકાઉન્ટમાં દીકરી નોમિનીપિતાને એક ભાઈ છે, જેને તેને ત્રણ સંતાન છે. પિતા સાથે બાળકીનું સારું ભવિષ્ય છે. સાસુ સસરા હવે વૃદ્ધ થયા છે. પિતાના બેંક એકાઉન્ટમાં દીકરી નોમિની છે. મહેસાણાની શાળા દીકરીને એડમિશન આપવા તૈયાર છે, તેવો લેટર કોર્ટ સમક્ષ રજૂ કરાશે. દીકરીને તેના નાના નાનીનો પ્રેમ મળે તે માટે પણ પિતા તૈયાર છે. કોર્ટે નોટિસ કાઢી 20 નવેમ્બરે વધુ સુનવણી રાખીકોર્ટે કહ્યું હતું કે પિતાને બાળકી સાથે મળવા દેવાઈ નથી.બાળકીને અમુક સમય મળવા અને પિતા સાથે મહેસાણા લઈ જવા પરવાનગી આપવી જોઈએ. તેને પિતાના ઘરે વાતાવરણ અનુકૂળ કરાવો પછી આગળ હુકમ કરવામા આવશે. વૃદ્ધ નાના નાની ક્યાં સુધી પૌત્રીની સંભાળ રાખી શકશે ! કોર્ટે નોટિસ કાઢી 20 નવેમ્બરે વધુ સુનવણી રાખી છે. તે દરમિયાન બાળકીના પિતાને તેના માટે શાળા શોધવા અને બાળકીને શનિ અને રવિવારે મહેસાણા લઈ જવા મંજૂરી આપી છે. કોર્ટ આગળની પ્રોગ્રેસ જોઈને યોગ્ય હુકમ કરશે.
ગાંધીનગરમાં છેલ્લા બે દિવસમાં પેથાપુર અને સેક્ટર-25 એમ બે જુદા-જુદા વિસ્તારોમાં ઝરખ જોવા મળ્યા હોવાના બનાવ બનતા સ્થાનિક રહેવાસીઓમાં વન્યજીવની દહેશત વ્યાપી ગઈ છે. ગઈકાલે સેક્ટર-25ના સૂર્યનારાયણ સોસાયટીના રહીશોએ ઝરખ જોતા વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ, ઝરખના કોઈ નક્કર પુરાવા મળી આવ્યા ન હતા. એવામાં બે દિવસ અગાઉ પેથાપુર વિસ્તારમાં ઝરખ દેખાયો હોવાનો વીડિયો સામે આવતા વન વિભાગની અલગ-અલગ ટીમોએ ઉપરોક્ત બંને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુંસતત બે દિવસથી ઝરખની હાજરી હોવાની બુમરાણ વચ્ચે બે દિવસ અગાઉ પેથાપુર વિસ્તારમાં ઝરખ દેખાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.ગઈકાલે રાત્રે સેકટર-25 સુર્ય નારાયણ સોસાયટી વિસ્તારના સંતોષી માતાજીના મંદિર પાસે ઝરખ દેખાયું હોવાના સ્થાનિકોના દાવા બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આખી રાત વન વિભાગની ટીમ દ્વારા ઝરખની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ, ઝરખ હોવાના કોઈ નક્કર પુરાવા વન વિભાગને મળ્યા નહોતા. જોકે, નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી આજે પણ વન વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી ઝરખ જોવા મળ્યું હોવાના નક્કર પુરાવા કે પગના નિશાન શોધવાની કવાયત હાથ ધરાઈ હતી. બે દિવસ પહેલા પેથાપુરમાં ઝરખ દેખાયાનો વીડિયો વાયરલએવામાં પેથાપુર વિસ્તારમાં બે દિવસ પહેલા પણ ઝરખ જોવા મળ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, રહેણાંક વિસ્તારોમાં ઝરખના સળંગ દેખાવાને ગંભીરતાથી લઈને વન વિભાગ દ્વારા સેક્ટર-25 અને પેથાપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા નાગરિકોને સુરક્ષા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. હજી સુધી ઝરખ હોવાના નક્કર પુરાવા મળ્યા નથીઆ અંગે વન વિભાગના અધિકારી આર .કે.ગોહિલે જણાવ્યું કે, ઝરખનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે પેથાપુરનો હોવાનું કહેવાય રહ્યું છે. બે દિવસ પહેલા પેથાપુર નદી વિસ્તારમાં જરખ જોવા મળ્યું હોવાનું કહેવાય રહ્યું છે. જેના પગલે આજે બે ટીમો દ્વારા પેથાપુર નદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે ગઈકાલ સૂર્યનારાયણ સોસાયટી વિસ્તારની માફક પેથાપુરના કોતર એરિયામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હજી સુધી ઝરખ હોવાના નક્કર પુરાવા મળી આવ્યા નથી.
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ બે ફ્લેટના ધારકો પરિવાર સાથે કામસર ફ્લેટ બંધ કરી બહાર જતા કોઈ અજાણ્યા શખ્સોએ ફ્લેટના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. કાળિયાબીડમાં આવેલ સપ્તપદી હોલ સામે રચના ફ્લેટમાં ચોરીશહેરના કાળિયાબીડમાં આવેલ સપ્તપદી હોલ સામે રચના ફ્લેટ નંબર બે ફ્લેટ નંબર 103 મારે રહેતા વિજય પ્રવીણભાઈ દેસાઈ તથા તેના પત્ની ગ્રામસભા ગઈકાલે બહાર જતા કોઈ અજાણ્યા શખ્સોએ બંધ ફ્લેટની બારીના ગ્રીલના ક્રુ ખોલી રૂમમાં પ્રવેશી રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરી હતી. તસ્કરે બે ફલેટને નિશાન બનાવ્યાઆજ તસ્કરો આ ફ્લેટના ચોથા માળે રહેતા સોનાલી રાહુલભાઈ પટેલના ફલેટમાં પણ પહોંચ્યા હતા અને ત્યાંથી પણ 60 હજારની રોકડ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બંને ફ્લેટમાંથી કુલ રૂપિયા 4,58,500ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિજય પ્રવીણભાઈ દેસાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયોકાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટમાં બે બંધ ફ્લેટમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર હર્ષદીપ ભુપત ડાભીને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી તમામ મુદ્દામાલ રિકવરી કર્યો હતો અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ચાર દિવસ પહેલા બારડોલીના સેજવાડ ગામની સીમમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસ તપાસમાં પ્રેમી જ હત્યારો નીકળ્યો છે. મૃતક મહિલાની ઓળખ આશા તરીકે થઈ હતી, જે તેના પ્રેમી અર્જુન વાંસફોડીયા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પૈસાની લેતીદેતીમાં થયેલા ઝઘડા બાદ અર્જુને આશાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં મહિલાની ઓળખ પોલીસ માટે પડકારરૂપ હતી, કારણ કે તેના હાથ પર 'આશા' અને અંગ્રેજીમાં 'D' ના છૂંદણા સિવાય કોઈ પુરાવા નહોતા. પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક યુવતી કામરેજ દેવીપૂજક સમાજની હોવાનું બહાર આવ્યું. પરિવારે મૃતદેહની ઓળખ આશા તરીકે કરી. પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે આશાના છૂટાછેડા થયા હતા અને તે અર્જુન નામના યુવાનના પ્રેમમાં હતી. તેમના સંબંધોની સમાજને જાણ થતાં સમાજ દ્વારા પરિવારને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આશાએ આ દંડની રકમ પ્રેમી અર્જુન પાસેથી માંગી હતી, જેના જવાબમાં અર્જુને 20,000 રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના 30,000 રૂપિયાની વ્યવસ્થા થશે ત્યારે આપવાની વાત કરી હતી. જોકે, આ બાકી નીકળતા પૈસાને લઈને આશા અને અર્જુન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે, આશા અને અર્જુન કાકરાપાર દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે, બાકી નીકળતા 30,000 રૂપિયાને લઈને બંને વચ્ચે ફરી ઝઘડો થયો. આવેશમાં આવીને અર્જુને લાકડાના સપાટા વડે આશા પર હુમલો કર્યો અને તેની હત્યા કરી ફરાર થઈ ગયો. પોલીસ તપાસમાં અર્જુનનું નામ ખુલતાં પોલીસે તેને ખેડાથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન, અર્જુને આશાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે અર્જુનની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.
તાજેતરમાં ભાવનગર શહેરના એસટી બસ સ્ટેશન પાસે આવેલ જહાંગીર મીલ પાસે ઈંગ્લીશ દારૂની ડીલીવરી આપવા આવેલ બુટલેગરો તથા મહિલાઓનાં ટોળાએ એલસીબી ની ટીમ પર હુમલો કરી પોલીસ જવાનો પર એસિડ એટેક નો પ્રયત્ન કર્યો હતો જેમાં પોલીસે બુટલેગરોની ધડપકડ કરી આજરોજ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી કંન્સ્ટ્રક્શન કર્યું હતું. ગત ગુરુવારે મોડી રાત્રે એલસીબી ની ટીમ ચાવડીગેટ દેવીપુજક વાસમાં રહેતા બુટલેગરો ઈંગ્લીશ દારૂની ખેપ લઈને જહાંગીર મીલ પાસે કારમાં આવ્યા હતા, આ બુટલેગરોને ઝડપી લેવા એલસીબી ની ટીમ પહોંચી હતી એ દરમ્યાન મહિલાઓનું ટોળું તથા બુટલેગરોએ એલસીબી ના જવાનો સાથે ઝપાઝપી કરી મહિલાઓએ બુટલેગરોને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એલસીબી ના જવાનોએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં થી વધુ પોલીસ ફોર્સ મંગાવી બુટલેગરોની ધડપકડ કરી હતી આજરોજ ધડપકડ કરાયેલાં દિનેશ રાજુ શાહ, કિશન રાકેશ શાહ તથા વિશાલ અજય ને ઘટના સ્થળે લઈ જઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના નું રી-કંન્સ્ટ્રક્શન કર્યું હતું, આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા અને ગોત્રી રોડ પર મોબાઇલની દુકાન ચલાવતા વેપારીએ મોબાઇલ વેચાણ આપવાનું કહીને ત્રણ મિત્રો પાસેથી રૂપિયા 1.26 લાખ પડાવ્યાં હતાં, પરંતુ મોબાઇલ આપ્યો ન હતો. જેથી વારંવાર માગણી કરતા માત્ર રૂપિયા 51 હજાર આપ્યા હતા, જ્યારે બાકીના રૂ.75 હજાર આજદીન સુધી નહી આપી ઠગાઇ આચરવામાં આવતા તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં લોન કન્સલ્ટન્ટે ફરિયાદ નોંધાવી છે. સસ્તા ભાવે મોબાઇલની લાલચમાં ફસાયોવડોદરા શહેરના લક્ષ્મીપુરા ગામે શિવાલય રેસિડેન્સમાં રહેતા દિવ્યેશભાઇ પ્રવિણચંદ્ર ભટ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ લોન કન્સલ્ટન્સીનું કામ કરુ છે. ભાવિન શાહ ઇલોરાપાર્કખાતે કપડા મોબાઇલ, ઘડિયાળ સહિતના દુકાન ચલાતો હતો. તેઓએ મારા મિત્ર સમીરભાઇ કિશોરચંદ્ર આચાર્ય ઓળખતા હોય હુ પણ તેનો ગોત્રી રોડ પર આવેલી ઓફિસ અવાર નવાર બેસવા માટે જતો હતો. ભાવિન શાહ સસ્તાભાવે મોબાઇલનું વેચાણ કરતો હતો. તેના સ્ટેટસમાં અલગ અલગ મોબાઇલ તેની કિંમત સાથે મુકતો હતો. સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા 24 મોબાઇલ ખરીદ ગયો ને ફસાયોઆ દરમ્યાન મે તેનું સ્ટેટસ જોયુ હતુ અને સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા 24 મોબાઇલ ખરીદ કરવાનો હોવાથી તેને કિંમત પુછી હતી ત્યારે તેમે રૂપિયા 58 હજાર જણાવી હતી. જેથી મને ભાવ ઘણો ઓછો લાગ્યો હતો, જેથી તેના વિશ્વાસમાં આવીને તેની પાસેથી આ મોબાઇલ મંગાવ્યો હતો. પરંતુ ભાવિન શાહે તેના રૂપિયા એડવાન્સમાં આપવા પડશે તેમ જણાવ્યું હતું. દુકાન ચલાવતા વેપારીએ 1.26 લાખ પડાવ્યાંજેથી ગત જુન મહિનામાં મે તેને રૂ.26 હજાર ઓનલાઇન ચૂકવ્યાં હતાં. ત્યારબાદ રૂ. 25 હજાર આપી કુલ રૂ.51 હજાર તેને આપી દીધા હતાં. જ્યારે બાકીની રકમ મોબાઇલ આવ્યાં બાદ આપવાની રહેશે તેવુ મને કહ્યું હતું. આ મોબાઇલની ડિલિવરી બેથી ત્રણ દિવસમાં કુરીયર દ્વારા અમારા એડ્રેસ પર આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ કુરિયાર નહી આવતા મને ડિલિવરી મળી ન હતી. જેથી ભાવિન શાહે ડિલિવરી વાત તે ગલ્લા તલ્લા કરતો હતો. ગોરવા પોલીસે ઠગ ભાવિન શાહ સામે ફરિયાદ નોંધીત્યારબાદ આ ભાવિન શાહે મારા મિત્ર કિરણ ત્રિમક મિસ્ત્રી પાસેથી મોબાઇલ ખરીદ કરવાના બહાને રૂપિયા 50 હજાર તથા સમીર શાહ પાસેથી રૂપિયા 25 હજાર પડાવી લીધી હતા. આમ ભાવિન શાહે ત્રણ યુવકો પાસેથી મોબાઇલ આપવાના બહાને રૂ.1.26 લાખ પડાવ્યાં હતાં. વારંવાર માગણી કરતા માત્ર રૂ.51 હજાર પરત આપ્યા હતા. જ્યારે રૂ.75 હજાર આજદીન સુદી નહી આપી ઠગાઇ આચરી છે. જેથી ગોરવા પોલીસે ઠગ ભાવિન શાહને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
માનવતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, જૂનાગઢની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે 60 વર્ષીય વિનોદભાઈ મોહનભાઈ જોટાણીયાનું અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ જોટાણીયા પરિવારે આ સરાહનીય નિર્ણય લઈને અન્ય છ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સાથે જ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલ ખાતે માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં આ પાંચમું અંગદાન થયું છે, જે દર્શાવે છે કે જૂનાગઢ જિલ્લામાં અંગદાન વિશેની જાગૃતિનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાનજૂનાગઢના જોશીપુરા નિવાસી વિનોદભાઈ મોહનભાઈ જોટાણીયા અચાનક બ્રેઇન ડેડ થતાં, હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારજનોને અંગદાન વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી. પરિવારજનોની સંમતિ બાદ,આજે મૃતક વિનોદભાઈની બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન કરવવામાં આવ્યું છે. આ અંગોને તાત્કાલિક ધોરણે ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ (IKD), અમદાવાદની ટીમ દ્વારા વિશેષ 'ગ્રીન કોરિડોર' મારફતે જૂનાગઢથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. આ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થવાથી અંદાજિત છ વ્યક્તિઓને જીવનદાન મળશે. અંગદાન વિશે જાગૃત બનવા, સંકલ્પ લેવા અપીલજીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, જૂનાગઢ પરિવારે વિનોદભાઈના સમસ્ત પરિવારજનો તથા તેઓના પ્રજાપતિ સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને લોકોને વધુને વધુ અંગદાન વિશે જાગૃત બનવા તેમજ સંકલ્પ લેવા માટે અપીલ કરી છે. આનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી: પુત્રમૃતક વિનોદભાઈ જોટાણીયાના પુત્ર મેહુલ જોટાણીયાએ જણાવ્યું કે તેમના પિતાને કોઈ ગંભીર બીમારી ન હતી, પરંતુ અચાનક બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. પિતાની સારવાર થઈ શકે તેમ નહોતી. ડોક્ટરોએ માહિતી આપતા પરિવારે નક્કી કર્યું કે જો અમે તેમને બચાવી શકતા નથી, તો તેમના અંગો અન્ય જરૂરિયાતમંદ લોકોને આપીને તેમની જિંદગી બચાવી શકાય છે. આનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી. દેહદાન કરવા અપીલમેં મારા પિતાની આંખો, કિડની અને લીવરનું દાન કર્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોએ અમને જે મદદ કરી છે, તેના માટે અમે આભારી છીએ.ઘણી વખત લાખો રૂપિયા વાપરવા છતાં પણ સમયસર અંગો મળતા નથી, તેવા લોકોને આ અંગદાનથી નવી જિંદગી મળે છે. લોકોને મારી અપીલ છે કે પરિવારના સભ્યો કે અન્ય લોકો જરૂરિયાતમંદોને દેહદાન કરે તો તેમની જિંદગી બચાવી શકાય છે. પરિવાર સાથે ફરવા ગયા ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો: પરિવારજનમૃતકના સગા અને હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ઇલાબેન કાનપરાએ જણાવ્યું હતું કે મારા બનેવી (વિનોદભાઈ)ને કોઈ રોગ ન હતો. પરિવાર સાથે ફરવા ગયા ત્યારે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, અને સારવાર સફળ ન થતાં ડોક્ટરોએ અંગદાન માટે પરિવારને સમજાવ્યું. ત્યારબાદ અમારા પરિવારે નક્કી કર્યું કે, વિનોદભાઈ જોટાણિયાને બચાવી ન શક્યા, પરંતુ તેમના અંગોનું દાન કરી અન્ય જિંદગીઓ બચાવીએ. ‘અંગદાન માટે વધુ જાગૃતિ આવશે’વિનોદભાઈની ઉંમર 60 વર્ષથી વધુ હોવાના કારણે તેમના હૃદયનું દાન કરી શકાયું નથી, પરંતુ અન્ય અંગોનું દાન કરીને પરિવારે પુણ્યનું કામ કર્યું છે. વિનોદભાઈ જોટાણીયાના આ મહાદાનથી જૂનાગઢની જનતામાં અંગદાન માટે વધુ જાગૃતિ આવશે તેવી આશા હોસ્પિટલ પરિવારે વ્યક્ત કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાને વેરા વસૂલાતના ટાર્ગેટમાં હજુ રૂ.149 કરોડ ઘટે છે. મનપાની ટેક્સ શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.450 કરોડના ટાર્ગેટ સામે રૂ.301 કરોડના ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂ.3.82 લાખ કરદાતાઓ દ્વારા મિલકત વેરો અને પાણી વેરો ભરવામાં આવ્યો છે. જોકે, હજુ ટાર્ગેટ સુધી પહોચવા માટે વેરા વસૂલાત શાખા મિલકત સીલ સહિતની કામગીરી કરી રહી છે. 207 મિલકતો સીલ મારવામાં આવી છેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26માં મિલ્કતવેરો તથા પાણીવેરો ભરપાઇ કરવા માટે 9 એપ્રિલ, 2025થી વેરાની વસૂલાત ચાલુ કરવામાં આવેલી છે. તા. 8 નવેમ્બર સુધીમાં કુલ રૂ.3,82,951 કરદાતા પાસેથી 301.03 કરોડની વસુલાત થઈ છે. ચાલુ વર્ષમાં બાકી મિલકત વેરા વસુલાત સામે વોર્ડ નં.1માં કુલ 9, વોર્ડ નં.2માં 11, વોર્ડ નં.3માં 19, વોર્ડ નં.5માં કુલ 2, વોર્ડ નં.6માં કુલ 5, વોર્ડ નં.7માં 98, વોર્ડ નં.8માં 4, વોર્ડ નં.9માં 7, વોર્ડ નં.10માં 18, વોર્ડ નં.11માં 8, વોર્ડ નં.12માં 8, વોર્ડ નં.13માં 4, વોર્ડ નં.14માં 6, વોર્ડ નં.17માં 6 અને વોર્ડ નં.18માં 2 આમ 207 મિલકતો સીલ મારવામાં આવી છે. મનપા દ્વારા રૂ.450 કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ રાખવામાં આવ્યોશહેરમાં મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા દર વર્ષે વેરા વસૂલાતનો ટાર્ગેટ વધારવામાં આવે છે ત્યારે આ વર્ષે મનપા દ્વારા રૂ.450 કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જ્યાં સુધી પહોચવા માટે ટેક્સ શાખાના અધિકારીઓ સહિતની ટીમ ઉંધા માથે છે. મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે. નંદાણી સહિતના દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકાયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈટાલિયાએ રાહત પેકેજને 'ખેડૂત મજાક પેકેજ' ગણાવ્યું ગુજરાતમાં માવઠાના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હોઈ, સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. AAP નેતાઓે આ પેકેજને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાહત પેકેજને ખેડૂત મજાક પેકેજ ગણાવ્યું છે. રાજકોટ આવેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાંભળવામાં તો એવું લાગે કે ખેડૂતો બધા માલામાલ થઇ જશે અને દરેકના ફળિયામાં એક-એક હેલિકૉપ્ટર ઊભાં રહેશે, પરંતુ આ ખેડૂતોની મજાક બનાવી છે. આ રાહત પેકેજ નહિ, પરંતુ કૃષિ મજાક પેકેજ છે. સરકારના આ પેકેજથી ખેડૂતો માત્ર આત્મહત્યા કરવા માટે ઝેરી દવા ખરીદી શકે એમ છે. સરકાર જો ખરા અર્થમાં મદદ કરવા માગતી હોય તો દરેક ખેડૂતને હેકટરદીઠ 50,000ની સહાયની જાહેરાત કરે, કારણ કે માત્ર બે હેકટર જમીનમાં વરસાદ નથી વરસ્યો, બધી જ જમીન પર પડ્યો છે, માટે દરેક ખેડૂતને જેટલું નુકસાન થયું છે એ તમામ હેકટરદીઠ 50,000ની સહાય આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માગ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જિગીષા પટેલની રાહત પેકેજ મામલે ખેડૂતો સાથે ઓટલા બેઠક ગુજરાતમાં માવઠાના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હોઈ, સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. AAP નેતાઓે આ પેકેજને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મહિલા નેતા જિગીષા પટેલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે ઓટલા બેઠક કરી પેકેજ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. ગોંડલના દેવચડી ગામમાં ભાજપના કાર્યકર્તા અને જિગીષા પટેલ વચ્ચે ગણેશ ગોંડલને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના કાર્યકર્તાએ કહ્યું હતું કે બહેન, તમે સુરતમાં હતાં એ બરાબર હતાં, અહીં ન મથો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવો પરિપત્ર પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને 7 નવેમ્બર 2025ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં થયેલ ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને નવો પરિપત્ર પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શંકર ચૌધરીની વિરોધીઓને ચેતવણી વાવ-થરાદ જિલ્લાના મલુપુર ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, કંઇક સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો અને મારા વિસ્તારના લોકોને હેરાન કરશો તો હું ચુપ નહીં બેસું. અત્યારે મર્યાદાના કારણે હું નથી બોલતો બાકી તમને જેટલું આવડે છે એના કરતાં અનેકગણુ મને પણ આવડે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાટણ પાલિકામાં ભાજપ Vs ભાજપ પાટણ પાલિકામાં ભાજપ V/S ભાજપનો ઘાટ ઘડાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને ભાજપના જ 6 નગરસેવકોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી તેમની સામે પગલા લેવાની વિનંતી કરી છે. તેમણે પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, આજકાલથી નહીં વર્ષ 2020માં જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાંખતા આવ્યા છે. જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે કામો નામંજૂર કરાવે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો MSUમાં 74મો પદવીદાન સમારોહ યોજાયો વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો (MSU) 74મો પદવીદાન સમારોહ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ પર યોજાયો હતો. યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાંથી 11,279 વિદ્યાર્થીઓએ હાજર રહીને ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કુલ 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે ડિગ્રી અને ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થિનીઓના દબદબાને ખાસ બિરદાવ્યો હતો. રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ગેસ્ટ ઑફ ઑનર તરીકે હાજર રહ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દિલ્હીથી અમદાવાદની વધુ 7 ફ્લાઇટ્સ ડીલે એર ટ્રાફિક કંટ્રોલ ફ્લાઇટ પ્લાનિંગને ટેકો આપતી AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે આજે પણ અમદાવાદથી અસર કરતી અનેક ફ્લાઇટ ડીલે થઈ હતી. દિલ્હીથી અમદાવાદ આવતી રાત્રે 12 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની 2 ફ્લાઇટ 6E 6792, 163ની ફલાઇટ 2 કલાકથી વધુ સમય મોડી પડી હતી. જ્યારે સ્માર્ટ વિંગ્સની SG 8193ની ફલાઇટ 3 કલાકથી વધુ સમય મોડી પડી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 3 પેટ્રોલ પંપના માલિકનો બે દીકરી સાથે આપઘાત ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીનાં આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરી સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ધીરજ રબારીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો છે. અગાઉ આજે સવારે પિયજ કેનાલમાંથી બંને દીકરી જહાન્વી અને જીયાના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતાં રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કલોલ રેફરલ હોસ્પિટલમાં બંને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે, જેમને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળે પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં યુવકનું મોત આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવતીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાઈ છે. એક યુવક પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે તેની ટક્કર થતાં કારચાલક યુવકનું કરુણ મોત થયું હતું. આ મામલે એસ. જી. 1 ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
9 નવેમ્બર એટલે જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ. રવીવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. શહેરમાં એક તરફ મુક્તિ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તો બીજી તરફ મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓનું રાજ હોય લોકોએ હૈયાવરળા ઠાલવી હતી. મુક્તિ દિવસની ઉજવણી પૂર્વે શહેરીજનોએ કહ્યું હતું કે, જૂનાગઢવાસીઓને હજી પણ અસુવિધાઓથી મુક્તિ મળવાની બાકી છે. ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારમાં પહોંચી રસ્તાની સ્થિતિ જાણી લોકોને પડી રહેલી તકલીફ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખોદેલા રસ્તાઓ, ખાડાઓ અને ગટરના અધૂરા કામથી ઉડતી ધૂળજૂનાગઢ શહેરની મુલાકાત લેતા ગીરનાર તરફ જતો રસ્તો, ગિરિરાજ નગર, જોષીપુરા, મધુરમ વિસ્તારની સોસાયટીઓ અને હાટકેશ હોસ્પિટલ તરફના રસ્તાઓ પર ખોદેલા ખાડા, ગટરના અધૂરા કામો અને ધૂળની ઊડતી ડમરીઓ જોવા મળી હતી. જનતાનો સૂર હતો કે, આ દૃશ્યો જાણે કહી રહ્યા છે કે જૂનાગઢ હજુ સુવિધાઓમાંથી આઝાદ થયું જ નથી. જૂનાગઢના રહેવાસી ભગવાનદાસે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા 'દિવ્ય ભાસ્કર'ને જણાવ્યું કે જૂનાગઢ ફક્ત ખાડા નગરી છે. વહેલા મોડું અયોધ્યા નગરી અને દ્વારકા નગરીથી વધારે જૂનાગઢની ખાડાનગરી વધુ પ્રખ્યાત થઈ જશે. મહાનગરપાલિકા માત્ર પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં માને છે કોઈ સુવિધા આપવામાં માનતી નથી. હાલ મુક્તિ દિવસને લઈ રોડ પર જે ડામર પાથરીને સર્કલો શણગારવામાં આવ્યા છે, તે માત્ર ઉપર કક્ષાએ સારું બતાવવા માટેના ગતકડાં છે. મુખ્યમંત્રીની અગાઉની ટકોર માત્ર ટકોર જ રહી, કોઈ સુવિધા મળી નથી. આ મુખ્ય રસ્તાઓ મુખ્યમંત્રી આવે ત્યાં સુધી જ સારા રહેશે અને ત્યારબાદ ફરી જેવા હતા તેવા જ થઈ જશે. ખરાબ રસ્તાઓના કારણે વૃદ્ધોએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે- ગિરધારીભાઈબસ સ્ટેન્ડ પાછળના ગિરિરાજ નગરમાં રહેતા ગિરધારીભાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં ચાલી શકાય તેવા રોડ-રસ્તા નથી, બધી બાજુ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ગઈકાલે જ એક ભાઈ અહીં ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. જુનાગઢ આઝાદ થયું જ નથી, અહીં બખડજંતર ચાલી રહ્યું છે. કદાચ બીજા ભવમાં જૂનાગઢ આઝાદ થાય, પરંતુ આ ભવમાં તો નહીં થાય. ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બનેલા મણિલાલ અરમાણીયાએ જણાવ્યું કે જૂનાગઢને હજુ પૂરતી સુખ-સુવિધા મળી નથી, એટલે આઝાદી મળી નથી. આ ખરાબ રોડ-રસ્તા પર ચાલતા ચાલતા અચાનક જ પડી જવાય છે, છેલ્લા વર્ષમાં હું ચાર વાર આ ખરાબ રોડ-રસ્તાનો ભોગ બન્યો છું. રજૂઆત કરીએ છીએ ત્યારે કોઈ સાંભળતું નથી. મુખ્યમંત્રી આવવાના છે, માટે તેમના પસાર થવાના રસ્તા પર થીગડાં મારવામાં આવ્યા છે, જેથી તેમને રોદો ન આવે. અહીં ક્યારેય કોર્પોરેટર પણ દેખાયા નથી અને બધું લોલમલોલ ચાલે છે. નવા રસ્તા બનવાના છે તો પછી પેચવર્ક કરી કરોડો રૂપિયાના વેડફાટનું કારણ શું?- વિપક્ષજૂનાગઢ વિપક્ષના નેતા લલિત પરસાણાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, દિવાળી પહેલા શહેરના મુખ્ય રસ્તાઓમાં ડામરના પેચવર્ક કરવામાં આવ્યા હતા, જે રસ્તાઓ ₹275 કરોડના ખર્ચે બનવાના છે. હવે ટેન્ડર બે-ચાર દિવસમાં ખોલવાના છે, ત્યારે જે રસ્તા ઉપર લાખો રૂપિયા ખર્ચી પેચવર્ક કર્યું તેને ફરી ખોદવામાં આવશે. આ પ્રજાના પૈસાનો કરોડો રૂપિયાનો વેડફાટ છે. વર્ષોથી જૂનાગઢની જનતાને સુવિધા આપવા મામલે ચીરહરણ કરવામાં આવે છે. હાલ મુક્તિ દિવસની ઉજવણીના સમયે એટલું જ કહીશ કે શાસકો, ભ્રષ્ટાચાર અને ખાડાઓના ત્રાસથી જૂનાગઢને મુક્ત કરવું જોઈએ. ઉપરકોટના રિનોવેશન છતા ત્યાં સુધી પહોંચવાનો એકપણ સારો રસ્તો નથી-અમૃત દેસાઈજૂનાગઢના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે પણ જૂનાગઢ આઝાદ થયું નથી. જૂનાગઢ મહાનગરપાલિકાને અસ્તિત્વમાં આવ્યાને 20 વર્ષ વીત્યા, કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવાયા, પરંતુ આજની તારીખે પણ જૂનાગઢની પ્રજા ખરાબ રોડ-રસ્તાના કારણે મુશ્કેલી ભોગવી રહી છે અને જુનાગઢ 'ખાડાગઢ' તરીકે ઓળખાઈ ગયું છે. નરસિંહ મહેતાના ચોરાનો નવો રસ્તો તૂટી ગયો છે અને ઉપરકોટના રીનોવેશન છતાં ત્યાં સુધી પહોંચવાનો એક પણ રસ્તો સારો નથી. ટૂંક સમયમાં 275 કરોડના ખર્ચે શહેરના નવા રસ્તા બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થશે- સ્ટે. ચેરમેનઆ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે સાથે દિવ્ય ભાસ્કરે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું કે, આગામી ત્રણ-ચાર દિવસમાં જ ₹275 કરોડના ખર્ચે જૂનાગઢના રોડ-રસ્તા નવા બનશે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે. હાલ જે રસ્તા ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, તેને નવા રોડ બનાવવા માટે ફરી ખોદવા જરૂરી બનશે. જમીનની અંદરના કામો ગટર, ગેસ પાઇપલાઇનને કારણે રોડ-રસ્તા ખોદવા જરૂરી બને છે, પરંતુ હવે થોડા સમય બાદ જ ₹275 કરોડના ખર્ચે નવા શહેરના રસ્તાઓ બનશે એટલે લોકોને મુશ્કેલી નહીં પડે.પલ્લવીબેન ઠાકરને જ્યારે પૂછવામાં આવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો કે જેનો જૂનાગઢની જનતા લાભ લઈ રહી હોય તેવા નામો જણાવો ત્યારે પલ્લવીબેન ઠાકર દસ વર્ષમાં પૂર્ણ કરેલા પાંચ કામો પણ જણાવી શક્યા ન હતા.
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આજે(8 નવેમ્બર) વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. વાજાએ રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનિષા વકીલ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી અને પ્રગતિમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડૉ. પ્રદ્યુમન વાજાએ ડૉ. આંબેડકર સંકલ્પ ભૂમિની મુલાકાત લીધીમંત્રીએ સૌપ્રથમ સયાજી બાગમાં આવેલી ડૉ. આંબેડકર સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આદર અંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મંત્રીએ કલ્યાણનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકની મુલાકાત લીધી હતી. મંત્રીએ આ સ્મારકમાં તૈયાર થઈ રહેલા મ્યુઝિયમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તેની પ્રગતિની વિગતો મેળવી હતી. સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજીમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ સ્મારકની ચાલી રહેલી સમગ્ર કામગીરી અંગે સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને ગુણવત્તા અને સમયમર્યાદા જાળવીને કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાઆ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓની સાથે અગ્રણી જયપ્રકાશ સોની, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે પાયલોટિંગ કરતી કાર અને દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડીમાંથી 480 બિયર ટીન સહિત કુલ રૂ. 1,17,600નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 5,83,100નો મુદ્દામાલ કબજે કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાંથી એક છેલ્લા બે વર્ષથી બે ગુનામાં નાસતો ફરતો હતો. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB PSI એસ.જે. ચાવડાની ટીમે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહકારીજીન ઓવરબ્રિજના ઉતરતા છેડે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ગાડીઓ આવતાં તેને રોકવામાં આવી હતી. તપાસ કરતાં બંને ગાડીઓમાં કુલ ચાર ઈસમો બેઠેલા હતા અને સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયરની પેટીઓ મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી કિરણ ઉર્ફે બાદશાહ નગજી ભાનાજી ડામોર (રહે. સકલાલ, રાજસ્થાન) છેલ્લા બે વર્ષથી બે અલગ-અલગ ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસે તેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: 1. વિદેશી બિયર ટીન 480 નંગ, કિંમત રૂ. 1,17,600 2. ચાર મોબાઈલ ફોન, કિંમત રૂ. 15,500 3. હુંડાઈ ઈઓન કાર, કિંમત રૂ. 1,50,000 4. સ્વીફ્ટ કાર, કિંમત રૂ. 3,00,000 આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: 1. કિરણ ઉર્ફે બાદશાહ નગજી ભાનાજી ડામોર (રહે. સકલાલ, ફારકીફળો, તા. નયાગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) 2. સુનિલ જીવતરામ રમાજી બરંડા (રહે. બાયડી, ખેરીયા ફલા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) 3. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (રહે. દેમત, પો. પાટીયા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) 4. અમરતલાલ છબીલાલજી વેચાતજી ગામેતી (રહે. કણબઈ, વડાઘરા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે, જેમાં દારૂનો જથ્થો ભરી આપનાર છગન ગરાસીયા (સેલ્સમેન, રહે. કાનપુર), કાનપુર ઠેકાના માલિક પ્રવિણ કલાલ અને દારૂ લેવા આવનાર આશિષ (પૂરું નામઠામ અજાણ)નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે ખેડૂતો માટે ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનો છે.રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે આ નિર્ણય લીધો છે. આ પેકેજ અંતર્ગત, પિયત અને બિનપિયત બંને પાકોને સમાન નુકસાન વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે, જે મહત્તમ બે હેક્ટર સુધી મર્યાદિત રહેશે.આ નિર્ણય બાદ રાજ્યભરના ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ છે.બનાસકાંઠાના વાસણા-જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે, કમોસમી વરસાદથી મગફળી અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. મુખ્યમંત્રીના આ ઐતિહાસિક નિર્ણય બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ખેડૂત ચેહરાભાઈ પાંત્રોડે ઉમેર્યું કે, આ સહાયથી તેમના જેવા ખેડૂતોને મોટો ટેકો મળશે અને તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકશે. તેમણે પણ સરકારના આ નિર્ણયને ખેડૂતોના હિતમાં ઉત્તમ ગણાવ્યો.રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે અને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓ હળવી કરવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ નિર્ણય ખેડૂતો માટે આશાનું કિરણ બન્યો છે.
બોડેલી નજીક લોઢણ ગામ પાસે આજે વહેલી સવારે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાંથી વિદેશી દારૂની બોટલો રોડ પર વિખેરાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કવાંટ તરફથી આવી રહેલી આ કાર લોઢણ ગામ પાસે નિયંત્રણ ગુમાવી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં ભરેલો દારૂ બહાર આવી ગયો હતો. અકસ્માતગ્રસ્ત કારમાં કેટલા લોકો સવાર હતા અને તેમને શું ઈજા થઈ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ ઘટનાને કારણે જિલ્લા પોલીસના પેટ્રોલિંગ અને સરહદી વિસ્તારોમાં ચેકિંગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. રાજ્યની સરહદો પર કડક ચેકિંગ હોવા છતાં, આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં કેવી રીતે પ્રવેશ્યો તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા ભાવનગરની વિકાસ યોજના માટે વિચાર વિમર્શ કરાયું કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિ ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન 2041 કાર્યક્રમ ઇસ્કોન ક્લબ, જવેલર્સ સર્કલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર તથા ભાવનગરની આસપાસ આવનાર સમયમાં વિકાસની નવી ક્ષિતિજો ખૂલવાની છે. તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005 માં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાત આજે શહેરી વિકાસમાં સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. 20 વર્ષ બાદ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2025 ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર શહેર માટે ભાવિ વિકાસલક્ષી વિકાસકાર્યોને ધ્યાને લઈને વિચાર વિમર્શનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાવનગર સૌરાષ્ટ્ર પૂર્વનો વિસ્તાર ધોલેરા/અલંગ ઓથોરીટી, ઘોઘા, પીપાવાવ પોર્ટ વિગેરે સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં મેન્યુફેક્ચરીંગ, ફીશરીઝ, ઈમ્પોર્ટ એક્સપોર્ટની રીતે રોજગારીની અનેક તકો ઉભી કરી ઔધોગીક વિકાસ પામી રહી છે. રેલ્વે, ધોલેરા, ભાવનગર એરપોર્ટ, નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે, સી લીંક હાઈવે, પોર્ટ વિગેરે વિવિધ ટ્રાન્સપોર્ટશનની રીતે સુવ્યવસ્થિત દેશ/દુનિયા સાથે સંકળાયેલા છે. આમ, ભવિષ્યમાં વિકાસની ઉજળી તકો જોતા સૌરાષ્ટ્ર પૂર્વમાં સુખ-સુવિધા, આરોગ્ય, શૈક્ષણિક, રોજગારી, સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન, કુદરતી રિ-સોર્સની જાળવણી, જરૂરી કુદરતી વોટરબોડી માટે આયોજન,ગીર નેશનલ પાર્કનું પ્રોટેક્શન, એક્સટેન્શન, કુદરતી ડીઝાસ્ટર વિગેરે અનેક પરિબળો ધ્યાને લઈ ભાવનગર શહેરનું સુ-આયોજન અત્યારથી કરવું ઘણું જરૂરી છે. સૌરાષ્ટ્ર પૂર્વ વિસ્તારમાં સ્થિત ભાવનગર ભારતની આઝાદીમાં સૌપ્રથમ યોગદાન આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ દ્વારા પોતાનું રાજ્ય ભારત માતાની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરકાર દ્વારા બી.એમ.સી. બાડાના પ્લેટફોર્મથી ડી.પી./ ટી.પી. ની રીતે આયોજનબદ્ધ જાહેર સુવિધાઓ તમામ નાગરિકોને મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વર્ષ-2025 નું વર્ષ 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ગુજરાત સરકાર દ્વારા ઉજવી સમગ્ર ભારતમાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર રહી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ(બાડા) દ્વારા સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત રાજ્ય, ભારત દેશના વિકાસ લક્ષી આયોજનો/સંભાવનાઓ ધ્યાને લઇ આ વિસ્તારમાં ભાવનગર શહેર તમામ રીતે સક્ષમ રહે તે માટે ભાવનગર શહેર માટે થર્ડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવા જઈ રહી છે. જેમાં તજજ્ઞઓ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ડૉ.એન.કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ સહિત શહેરના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડે આપી એક્ઝામની અપડેટ
GUJCET 2026 Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારાGUJCET2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે.GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.
BREAKING: ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત બોર્ડે કર્યું જાહેર
Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ટાઈમ ટેબલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે 9 નવેમ્બર, 2025ના રોજ રબારી સમાજનું સ્નેહ મિલન યોજાશે. આ કાર્યક્રમમાં પાંચાળ પ્રદેશના 152 ગામોમાંથી રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સ્નેહ મિલન સમાજના કુરિવાજો, સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર અને રોજગાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત કરાયું છે. કાર્યક્રમ દરમિયાન સમાજના અનેક રિવાજો અને પ્રથાઓ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ખાસ કરીને, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સોનાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને સમાજ માટે યોગ્ય નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવશે.આ કાર્યક્રમમાં રબારી સમાજના સંતો અને મહંતો પણ હાજર રહી મહત્વના નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે.
રાજ્યના DST (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) ડિપાર્ટમેન્ટમાં ટેક્નિકલ અનુભવોને અવગણીને જૂનિયર અધિકારીઓને ચાર્જ અપાયો છે. જેનાથી વિભાગમાં આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. અગાઉ પણ બદલીનો વિવાદ થયો હતો. કેટલાક ઉચ્ચ અધિકારીઓને સૂચનો ના પસંદ પડ્યા તો બદલી!વિભાગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની હાલની કામગીરી ધીમી પડી ગઈ છે. અનુભવી અને ટેક્નિકલ દૃષ્ટિએ સક્ષમ અધિકારીઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. ભૌમિક બારોટ, જેમણે રાજ્યના ડેટા સેન્ટર, ઈ-ગવર્નન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સિટિઝન સેન્ટ્રિક પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમને કોઈ સ્પષ્ટ કારણ વગર તમામ જવાબદારીઓમાંથી એક મહિના પહેલાં દૂર કરવામાં આવ્યા હતાં. બારોટે ગુજરાત ડેટા સેન્ટર માટે ટેક્નિકલ રિપોર્ટમાં સુધારાના સૂચન આપ્યા હતાં, જે કેટલાક ઉચ્ચ અધિકારીઓને નાપસંદ પડ્યા હતાં. હવે તેમની જગ્યાએ ઓછા અનુભવ ધરાવતા અધિકારીઓને ટેક્નિકલ કામગીરી સોંપાઈ છે. આ પણ વાંચો:DSTના ઓફિસરે બદલીના ત્રણ મહિના પછી પણ ચાર્જ ન છોડ્યો:હવે ફરીથી ઓર્ડર રિવર્ટ કર્યો, તેની જગ્યાએ મુકેલા મહિલા અધિકારી ચાર્જ લેવા આવ્યા તો કહ્યું, તમારી જરૂર નથી, પછી આવજો આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યાજીઆઈએલ (GIL) અને જીઆઈએસએલ (GISL)માં સતત થઈ રહેલી આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. GPU ટેન્ડર, AI ઈનોવેશન ચેલેન્જ અને ડિજિટલ ગુજરાત 2.0 જેવા મોટા પ્રોજેક્ટ્સ હાલ અટવાયેલા છે. ટેક્નિકલ અનુભવોને અવગણીને જૂનિયર અધિકારીઓને ચાર્જમોના ખંધારના સમયમાં જે રીતે ઝડપથી ડિજિટલ પહેલો આગળ ધપાવવામાં આવતી હતી, તે હવે ધીમી ગતિએ ચાલી રહી છે. ટેક્નિકલ અનુભવી અધિકારીઓને બદલે વહીવટી પૃષ્ઠભૂમિવાળા અધિકારીઓને ચાર્જ આપવાના કારણે વિભાગની કામગીરી અને ટેક્નિકલ દિશા બંને પ્રશ્નચિહ્ન હેઠળ આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.26 ફેબ્રુઆરી 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે.આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો, તેના પર જઈને વધુ વિગત મેળવી શકાશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક માતર ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલા એક ટ્રેલરે રોડ સાઈડ રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર પર કામ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બેથી વધુ લોકોને ઈજા થઈ હતી.ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
IND vs AUS 5th T20: વરસાદને કારણે પાંચમી T20 રદ, ભારતે 2-1 થી સીરિઝ જીતી
India vs Australia T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શનિવારે (8 નવેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને વીજળીના કારણે રમત અટકી તે પહેલાં ભારતે કોઈ નુકસાન વિના 52 રન બનાવ્યા હતા. મેચ રદ થતાં, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે T20I સીરિઝ 2-1 થી જીતી લીધી. Ind vs Aus 5th T20
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ હવે અઠવાડિયાના સાતેય દિવસ ઓપરેટ થશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત સુરત-બેંગકોક-સુરત ફ્લાઇટ 1 ડિસેમ્બર, 2025થી દૈનિક બનશે. અગાઉ આ ફ્લાઇટ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ચાલતી હતી, પરંતુ ફ્લાઇટમાં હંમેશા 90 ટકાથી વધુ પેસેન્જર લોડ રહેતો હોવાથી આ માંગને પહોંચી વળવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણય સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે મજબૂત સ્થાન અપાવશે અને પ્રવાસીઓ તેમજ વેપારીઓ માટે નવી તકોના દ્વાર ખોલશે. બેંગકોક જેવા પૂર્વીય એશિયાના મહત્ત્વપૂર્ણ સ્થળ સાથેની દૈનિક કનેક્ટિવિટી સુરતને વૈશ્વિક બજારો સાથે વધુ અસરકારક રીતે જોડશે. દિલ્હી-સુરત ફ્લાઇટ પણ હવે દૈનિક બનશેબેંગકોકની દૈનિક ફ્લાઇટ સાથે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે, સવારે 05:30 કલાકે દિલ્હીથી ઉપડતી દિલ્હી-સુરત ફ્લાઇટ પણ અગાઉ અઠવાડિયામાં 4 દિવસ ચાલતી હતી, તે હવે દૈનિક બનશે. આના પરિણામે એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-દિલ્હી વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સની સંખ્યા 22થી વધીને 28 થઈ જશે. દૈનિક સેવા સુરતની વૈશ્વિક ઓળખને નવો આયામ આપશેઆ ફેરફાર સુરતના પ્રવાસન અને વેપાર ક્ષેત્ર માટે ખૂબ જ ઉત્સાહજનક છે. ઊંચા પેસેન્જર ટ્રાફિકનો દર એ સ્પષ્ટ સંકેત આપે છે કે સુરત એરપોર્ટ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ દૈનિક સેવા સુરતની વૈશ્વિક ઓળખને નવો આયામ આપશે.
ગોધરા ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે વર્ષ 2003માં અપાયેલા ચુકાદામાં નિર્દોષ છૂટેલા ત્રણ વ્યક્તિઓ જગદીશ ત્રિવેદી, રમેશ ડામોર અને મોહન પંચાલ સામે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારની અપીલ નકારીને ત્રણેય વ્યક્તિઓને નિર્દોષ છોડ્યા છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. 2002માં ખાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મામલોકેસને વિગતે જોતા વર્ષ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ફરિયાદી આરજુબેન શેખે ખાનપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ જે ગામમાં રહેતા હતા તે ગામના ભરવાડ સમાજ દ્વારા મુસ્લિમોને જાણ કરાઈ હતી કે તેમની ઉપર હુમલો થવાની શક્યતા છે. તેથી તેઓએ પોતાના સગાઓ સાથે ગામ છોડીને સુરક્ષિત સ્થળે જતા રહેવું જોઈએ. આથી ફરિયાદી પોતાના પરિવાર અને ગામના 30 થી 35 પરિવારો કરાતાં ગામ જવા નીકળ્યા હતા. જેમાં એક ટેમ્પોમાં 40 જેટલા લઘુમતી સમુદાયના લોકો હતા. ટેમ્પો જ્યારે કરાંતા જતા લીંબડીયા ચાર રસ્તાથી ડાબી તરફ વળ્યો, ત્યારે તે તૂટી ગયો હતો. આ દરમિયાન 100 જેટલા લોકોનું ટોળું મારો કાપો કરતું ટેમ્પો ઉપર હુમલો કરવા આવ્યું હતું. જેથી ટેમ્પોમાંથી બધા કૂદીને દોડવા લાગ્યા હતા. જેમાંથી ચારથી પાંચ લોકો ફરિયાદી મહિલાની પાછળ પણ પડ્યા જેઓએ ફરિયાદીને હાથમાં તલવારોના ઘા માર્યા હતા. ફરિયાદી મહિલા રોડની એક બાજુમાં કેબિનની પાછળ મૃત્યુ પામ્યા હોવાનું નાટક કરતાં પડ્યા રહ્યા. ત્યારે તેમને સાંભળ્યું કે ટોળામાંથી એક જણે કહ્યું કે, ટેમ્પો ઉપર કેરોસીન નાખીને તેને સળગાવી નાખો અને તે પ્રમાણેનું કૃત્ય કરવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસ ફરિયાદીને ઊભા કરીને લુણાવાડા ખાતે હોસ્પિટલે સારવાર માટે લઈ ગઈ બાદમાં ખાનપુર પોલીસ મથકે મહિલાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસી આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી. જ્યારે ભાગેડુ આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં બે કેસ નંબર પડ્યા હતા. જેના નામ આપ્યા તેને આરોપી ન બનાવાયાની પીડિતની રજૂઆત હતીહાઇકોર્ટમાં સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે ઉપરોક્ત સમયગાળામાં બે અલગ અલગ ઘટનાઓ બની હતી. જે બંનેને એક સાથે નોંધવામાં આવી છે. પરંતુ ખરેખરમાં બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવાની જરૂર હતી. બંનેના સાહેદ અને પીડિતો પણ અલગ અલગ છે. આથી હાઇકોર્ટે કોઈ સિનિયર ઓફિસરને આ કેસમાં ફરીથી તપાસના આદેશ આપવા જોઈએ. કોર્ટે પોતાના ચુકાદામાં તપાસમાં રહેલી ખામીઓ અને પીડિતોના આક્ષેપો અંગે નોંધ કરી છે. તેમજ સિનિયર ઓફિસરને તપાસ સોંપવા અંગે સલાહ આપી છે. પીડિતાએ કહ્યું કે તેઓએ જે જેના નામ આપ્યા તે વ્યક્તિઓને આરોપી બનાવાયા નથી. પોલીસે પંચનામામા જે વ્યક્તિઓ પાસેથી હથિયાર મેળવ્યા છે, તેમનું નામ આરોપીઓમાં નથી. કેસમાં 65 પુરાવા અને 15 સાહેદ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી પોતે ઘાયલ અને આંખો દેખ્યા સાક્ષી હતા. તેણે આરોપીના નામ આપ્યા છે. વળી આરોપીઓ એક લઘુમતી સાહેદને ત્યાંથી જ કેરોસીન લઈને ગયા હતા. બે મૃતકોને ધારિયા મારતા ફરિયાદીના પતિએ સંતાઈને જોયા છે. કેટલાક સાહેદો તપાસાયા નથી. પોલીસે ઘટના સ્થળનું પંચનામું પણ કર્યું હતું. જેથી ફરી તપાસ કરાય અને ફરી ટ્રાયલ કરવામાં આવે. એક સાહેદે કહ્યું હતું કે ટોળામાં જગદીશ ત્રિવેદી, મોહન અને રમેશ ડામોર નહોતા. રમેશભાઈ ટ્રેક્ટરમાં કેરોસીન લઈને ગયા તે ઘર સળગાવ્યાનો બનાવ અને લીંબડીયા આગળ ટેમ્પો સળગાવવાનો બનાવ અલગ અલગ છે. એક સાહેદે કહ્યું કે, 500 થી 700 નું ટોળું ટેમ્પા બાજુ આવ્યું હતું. એકે કહ્યું કે 150 થી 200 નું ટોળાએ ઘરને આગ લગાડી હતી. મોહસીને કહ્યું હતું કે, સોથી 200થી 300 ના ટોળાએ તેના પિતા અને માતાને મારી નાખ્યા. તેમની પાસે પેટ્રોલ અને તલવાર જેવા ઘાતક હથિયારો હતા. ત્યારે તેને ત્રણ જ વ્યક્તિઓને ઓળખી બતાવ્યા હતા. યુનુસ કહ્યું હતું કે તેના ઘરે 150 થી 200 ના ટોળાએ આગ લગાવી હતી. ઘટના સ્થળે 8 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા. કેસ શંકા્રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ- કોર્ટકોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે. કેસ શંકા રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડતા ત્રણ નિર્દોષ છૂટેલા આરોપીઓને શંકાનો લાભ અપાયો છે. જ્યાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે. ફરિયાદીએ ફરિયાદ અને તપાસના સ્થળે નહીં પરંતુ ટ્રાયલ સમયે આરોપીઓના નામ આપ્યા છે. વળી ફરિયાદીએ પ્રોસિક્યુશનાના કેસને સપોર્ટ કર્યો નથી. તેને કોઈ આરોપીનું નામ આપ્યું નથી. ફરિયાદીના પતિએ બીજા આરોપીઓના નામ આપ્યા છે. આ કેસમાં જે ત્રણ લોકોને છૂટ્યા છે, તેના નામ આપ્યા નથી. હાઇકોર્ટે શંકાથી રહિત કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા અને સાહેદોના હોસ્ટાઇલ થવાને લઈને રાજ્યની અપીલ નકારી નાખી હતી અને ગોધરા ફાસ્ટટ્રેક કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ આજે પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ઉજવાયો હતો. આ નિમિત્તે આયુષ્ય મંત્ર જાપ અને મહાપૂજા વિધિપૂર્વક યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અડવાણીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહાદેવ સમક્ષ અડવાણીના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના સભ્યો અને કર્મચારીઓની હાજરીમાં આયુષ્ય મંત્ર જાપનો કાર્યક્રમ યોજાયો હતો. મહાદેવને આ દિવસે વિશેષ શૃંગાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ માટે દીપમાલા પ્રજ્વલિત કરીને દેવી-દેવાધિદેવની આરાધના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટના પરિવારજનોએ લાલકૃષ્ણ અડવાણી પ્રત્યે કૃતજ્ઞતા, શુભકામનાઓ અને આશીર્વાદના સંદેશા વ્યક્ત કર્યા હતા.
આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતે વર્ષ 2025ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજની ઓળખ અને બહાદુરીના પ્રતિક છે, જેમના સન્માનમાં ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે આદિવાસી સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાત જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્યગુજરાત ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે ખાસ આદિવાસી સમુદાયો માટે મોટા પાયે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાત બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (GBRC)ના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોના આનુવંશિક બંધારણનો અભ્યાસ કરીને રોગના પરીક્ષણ, સારવાર અને આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉલ્લેખનીય છે કે, જીનોમ ઈન્ડિયા પહેલ હેઠળ કાર્યરત આ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ એ સમજવાનો પ્રયાસ કરે છે કે આદિવાસી સમુદાયોમાં આનુવંશિક વિકૃતિઓ કેમ વધી રહી છે, જે ઘણીવાર અંતર્વિવાહ અને મર્યાદિત આનુવંશિક વિવિધતાને કારણે થાય છે. 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરાશેગુજરાતમાં જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક ડેટાબેઝ બનાવી રહ્યા છે, જે આ જૂથોમાં આનુવંશિક રોગોના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં, ગુજરાત સરકારે આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેથી એક વ્યાપક જીનોમ ડેટાબેઝ બને અને હાલના ડેટામાં રહેલો તફાવત દૂર થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. જીનોમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસરગુજરાતમાં જીનોમ સંશોધનને વેગ આપવા માટે GBRC ખાતે આધુનિક સુવિધાઓ છે, જેમાં લોંગ-રીડ સિક્વન્સર સહિત ત્રણ જીનોમ સિક્વન્સિંગ મશીનનો સમાવેશ થાય છે, જે એક સમયે 5,000-10,000 બેઝ પેઅર (મૂળ જોડી)નું વિશ્લેષણ કરી શકે છે, જે વૈજ્ઞાનિકોને જટિલ આનુવંશિક ફેરફારો શોધવામાં મદદ કરે છે. આ મશીનોનો ઉપયોગ પહેલાં કોવિડ-19 દરમિયાન કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ વ્યાપક જીનોમિક સંશોધન માટે થાય છે. બૅચમાં 25-50 મનુષ્યના જીનોમનું સિક્વન્સિંગ થઈ શકેગુજરાતમાં દરેક સિક્વન્સિંગ બૅચમાં 25-50 મનુષ્યના જીનોમનું સિક્વન્સિંગ થઈ શકે છે, જેના પરિણામો 48-72 કલાકમાં તૈયાર થઈ જાય છે. સ્થાનિક સુવિધાઓ વધારીને અને ખર્ચનું સંચાલન કરીને, GBRCએ દરેક સેમ્પલની કિંમત ₹85,000 થી ઘટાડીને લગભગ ₹60,000 કરી છે. આ સંશોધન ડૉક્ટરોને સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર આપવામાં અને આધુનિક જીનોમ વિજ્ઞાનથી આદિવાસી સમુદાયોને લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે. જીનોમ સિક્વન્સિંગ અને આદિવાસી સમુદાય માટે તેનું મહત્વશરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જીનોમ કહેવામાં આવે છે. કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચના ને સમજવા માટે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આ જીનોમમાં થતા ફેરફારો વિશે જણાવે છે. ગુજરાતની આદિવાસી વસ્તી લાંબા સમયથી થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા જેવી આનુવંશિક બીમારીઓનો સામનો કરી રહી છે. અમુક આનુંવાન્શિક બીમારીઓ છેલ્લા સ્ટેજ સુધી પણ શોધી નથી શકાતી અને સારવાર વધુ જટિલ બની જાય છે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા, વૈજ્ઞાનિકો મ્યુટેશન (પરિવર્તનો)ને શોધી શકે છે, ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક પેનલ બનાવી શકે છે અને IVF પ્રક્રિયાઓ દરમિયાન પ્રિનેટલ અથવા તો ગર્ભ-સ્તરનું પરીક્ષણ પણ કરી શકે છે. જીનોમ મૅપિંગ દ્વારા આદિવાસી સમુદાયનું સ્વાસ્થ્ય સુધારવાનો સંકલ્પઆ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોની સુખાકારી સુનિશ્ચિત કરીને વધુ સારી આરોગ્યલક્ષી યોજનાઓ બનાવવામાં મદદ કરશે. તે રોગનું નિદાન, કુપોષણ અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ અને સિકલ સેલ એનિમિયા અને G6PDની ઉણપ જેવા આનુવંશિક વિકારોના વહેલા નિદાન માટે આનુવંશિક માહિતી પ્રદાન કરશે. તે આહાર, પોષણ અને રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કરવામાં, સારવારને વધુ અસરકારક બનાવવામાં અને સ્થાનિક આનુવંશિક ફેરફારોને ઓળખવામાં મદદરૂપ બનશે. સિકલ સેલ રોગને જીનોમ મૅપિંગ દ્વારા વહેલી તકી ઓળખી શકાશેઉદાહરણ તરીકે, જો માતા અને પિતા બંનેમાં બીટા-ગ્લોબિન જનીનની એક મ્યુટેટેડ કૉપી હોય (જેને વાહકો કહેવાય છે), તો 25% શક્યતા છે કે તેમના બાળકને બંને મ્યુટેટેડ કૉપી વારસામાં મળે અને તેને સિકલ સેલ રોગ થાય. જીનોમ મૅપિંગ દ્વારા આવા વાહકોને વહેલી તકે ઓળખી શકાય છે, જેથી રોગ વિશે વહેલી જાણ થાય અને એ માટે નિવારક પગલાં લઈ શકાય. આનાથી સમુદાયના આનુવંશિક લક્ષણો અનુસાર ડીએનએ પરીક્ષણો તૈયાર થઈ શકે છે. 'જીનોમ સિક્વન્સિંગ વ્યક્તિના બધા જનીનો ઓળખે છે'આ પરીક્ષણો ફક્ત જે-તે સમુદાયમાં સામાન્ય રીતે થતા જનીન ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો ખર્ચ ફક્ત ₹1,000–1,500 થાય છે. તેની સરખામણીમાં, સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વ્યક્તિના બધા જનીનો ઓળખે છે, જેમાં પ્રતિ નમૂના પાછળ લગભગ ₹1 લાખનો ખર્ચ થાય છે અને એક્ઝોમ સિક્વન્સિંગ ફક્ત જનીનોના કોડિંગ ભાગો વાંચે છે, જેમાં પ્રતિ નમૂના માટે લગભગ ₹18,000–20,000નો ખર્ચ થાય છે. આ રીતે સમુદાય-વિશિષ્ટ પરીક્ષણો વધુ વ્યવહારુ અને ઓછા ખર્ચાળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી - એકતાનગરના આંગણે ભારત પર્વ - 2025ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહભાગી બન્યા હતા. આ દિવસે રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય, ગુજરાતનો રાસ અને આસામના બિહૂ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા - સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી હતી. ભારત પર્વમાં સહભાગી થયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આજે આપણે સૌ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રહ્યા છીએ, જેમણે સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધીને “અખંડ ભારત”ના નિર્માણનું મહાન કાર્ય કર્યું હતું. આ મારું સૌભાગ્ય છે કે, સરદાર પટેલના સ્મારકસ્થળ એકતાનગર ખાતે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે. એકતાની ભાવના અને રાષ્ટ્રના આર્થિક-રાજકીય એકતાના પાયા સરદાર પટેલે જ નાખ્યા હતા. તેમની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે દેશ માટે સમર્પિત થયેલા તેમના જેવા યોગદાનકર્તાઓને યાદ કરવા એ સાચા અર્થમાં રાષ્ટ્રસેવાનો ઉત્સવ છે. યોગાનુયોગ “વંદે માતરમ”ની રચનાને પણ 150 વર્ષ પૂર્ણ થયા છે, જે આપણા સૌને ગૌરવની અનુભૂતિ કરાવે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભારત દેશની સ્વતંત્રતા બાદ સરદાર પટેલનો દેશપ્રેમ અને તેમની રાષ્ટ્રનિર્માણની પ્રેરણા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે, જે આવનારી પેઢીઓને પણ તે દિશામાં પ્રેરિત કરે છે. ભારતની વિવિધતા એ જ તેની શક્તિ છે. “વિવિધતામાં એકતા” આપણું ગૌરવ છે. ભારત પર્વની ઉજવણી આપણને આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે, આપણાં સાંસ્કૃતિ-મૂલ્યોને સમજવા અને તેનું સન્માન કરવા માટે એક અદભુત મંચ પુરૂં પાડે છે. વધુમાં તેઓએ કહ્યું કે, આઝાદીના સમયે દેશ અનેક રજવાડાઓમાં વહેંચાયેલો હતો, ત્યારે સરદાર પટેલે પોતાની અદભૂત રાજકીય દુરદર્શિતાથી રાષ્ટ્રને એક કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદના નિઝામથી લઈને જૂનાગઢ સુધીના રજવાડાંના વિવાદોને તેમણે દૃઢતાપૂર્વક ઉકેલ્યા અને રાષ્ટ્રહિત માટે તેમણે કઠોર પરંતુ યોગ્ય પગલાં લીધા અને ભારતના એકીકરણનો ઇતિહાસ રચ્યો હતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના પ્રતીકરૂપે ઉભી છે. ભારતની એકતા, અખંડતા અને શક્તિમાં જ ભારતની વિશેષતા સમાયેલી છે. આપણે સૌએ તેમના સપનાનાં ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ નાગરિકો માટે “દેખો અપના દેશ”ના વિચારોને સાર્થક કરવા તેમજ પર્યટન-સંસ્કૃતિના આદાન પ્રદાન માટે રાષ્ટ્રીય એકીકરણની ભાવનાનો સંદેશો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં આ કાર્યક્રમ અદભૂત રીતે યોજાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત એકતાનગરના પ્રવાસન પ્રકલ્પો દેશ - વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં પરંતુ આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે. ગુજરાતના વિવિધ મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે, તેથી જ ગુજરાત ધાર્મિક પર્યટનમાં પણ પ્રવાસીઓને આકર્ષે છે. “લોકલ ફોર વોકલ”ના મંત્રને ચરિતાર્થ કરતું આ ભારત પર્વ સાચા અર્થમાં રાષ્ટ્રીય ગૌરવ સાથે ઘરેલું પર્યટનને પણ પ્રોત્સાહન આપે છે. ભારત પર્વમાં સહભાગી થવા પૂર્વે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ. ભજનલાલ શર્માએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી ભાવ વંદના કરી હતી. બાદમાં સરદાર સાહેબના જીવન - કવનની ઝાંખી પ્રસ્તુત કરતો પ્રોજેક્શન મેપિંગ (લેસર- શો) નિહાળ્યો હતો. ત્યારબાદ થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. જ્યાં રાજસ્થાનના પેવેલિયન(સ્ટોલ) ખાતે પહોંચી ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. ત્યાંથી સ્ટૂડિયો કિચન પહોંચી ખાસ કૂક દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ ચાખી તેમની રસોઈ બનાવટની પ્રસંશા કરી હતી. ગુજરાત પ્રવાસવ વિભાગ દ્વારા અહીં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલની પણ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. આ સમગ્ર મુલાકાત અને કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અજ્ઞિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, જિલ્લા વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
હળમતીયા હનુમાન મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો:હવન, સુંદરકાંડ અને રામધૂન સાથે ભોજન પ્રસાદ પણ વિતરણ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી 3 કિલોમીટર દૂર આવેલા હળમતીયા હનુમાન મંદિરે કારતક વદ-3, શનિવારે ભવ્ય પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે હવન, સુંદરકાંડ, સામુહિક રામધૂન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરનું નામ ખેતરમાં હળ હાંકતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળવાને કારણે પડ્યું હોવાનું મનાય છે. આજના પાટોત્સવ કાર્યક્રમમાં સવારે હવન, ત્યારબાદ સુંદરકાંડ પાઠ, અને પછી સામુહિક રામધૂનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર વિશેની લોકવાયકા અનુસાર, વર્ષો પહેલા ખેતરમાં હળ હાંકતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, જેના કારણે આ સ્થળ 'હળમતીયા હનુમાન મંદિર' તરીકે ઓળખાય છે. આ મૂર્તિ 800થી 900 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. પાટડી-વિરમગામ રોડ પર આવેલા આ મંદિરે દર શનિવારે અને દર માસની પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. અરજણભાઈ ઠાકોર જેવા નિયમિત ભક્તો પાટડીથી પગપાળા દર્શન કરવા આવે છે, જે દર્શાવે છે કે આ મંદિર અનેક લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.
પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડે રાહદારીઓ અને વાહનચાલકો સહિત અંદાજે 30 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટના માધવાણી કોલેજથી એકતા ગ્રીનસિટી તરફ જતા રસ્તા પર સવારે 9 વાગ્યાથી સાંજ સુધી બની હતી, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓના ઓચિંતા હુમલાથી રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે દોડતા અને વાહનો છોડીને ભાગતા જોવા મળે છે. મધમાખીના ડંખને કારણે અનેક લોકોને દુખાવો થતા તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ રસ્તા પર હજુ પણ મધમાખીઓ ક્યારેક હુમલો કરતી હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. પરિણામે, આ વિસ્તારમાં કર્ફ્યૂ જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે અને લોકો આ રસ્તા પરથી પસાર થવાનું ટાળી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે. આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર,પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
16 વર્ષથી નાસતા ફરતા ગેઝેટ પ્રસિદ્ધ આરોપી ઝડપાયો:પોરબંદર પોલીસે ચોરીના ગુનામાં કાર્યવાહી કરી
પોરબંદર પેરોલ/ફર્લો સ્કોડે ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા અને ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુના સંદર્ભે કરવામાં આવી છે. આરોપી કેંદુ ઉર્ફે માનસીંગ નાકીયા અજનાર (ઉં.વ. 55) વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 457, 380, 114 મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. તે ત્યારથી ફરાર હતો અને તેને ગેઝેટ પ્રસિદ્ધ નાસતા ફરતા આરોપી જાહેર કરાયો હતો. ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી માનસીંગ કેંદુ નકૈયા (અજનાર), જે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ ઉદયગઢ તાલુકાના છોટી ઉતી ગામનો વતની છે, તે હાલ તેના વતનમાં જ છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને વધુ તપાસ માટે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની વિગતો આ મુજબ છે: કેંદુ ઉર્ફે માનસીંગ નાકીયા અજનાર (ઉં.વ. 55), રહે. છોટી ઉતી ગામ, તળવી ફળીયા, તા. જોબટ ઉદયગઢ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ. પેરોલ/ફર્લો સ્કોડની આ અસરકારક કામગીરીને કારણે વર્ષો જૂના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભુજ તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક 17માં પશુ મેળો યોજાયો છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંઘઠન દ્વારા 17મા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા છે. મેળા અંદર ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે-વેચ કરવામાં આવી છે. જેમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂ.9.51 લાખમાં વેંચાઈ હતી. કચ્છના મોટા રણ નજીક સરહદી વિસ્તાર હોડકોના સિમ વિસ્તારમાં ધૂળ ની ડમરીઓ વચ્ચે સ્થાનિક કચ્છીમાંડુંઓ ભાતીગળ પહેરવેશમાં પશુ મેળો મહાલવા ઉમટી પડ્યા છે. પશુ ખરીદ માટે કચ્છ સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિતના પ્રાંતમાંથી રસ ધરાવતા લોકો આવ્યા છે. પશુ મેળાની શરૂઆત જિલ્લાના સત્તાપક્ષના પદાધિકારી અને સંસ્થાના હોદ્દેદારો એ રીબીન કાપીને કરી હતી. આ વેળાએ કચ્છ સાંસદ વિનોદ ચાવડા, રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ(ભુજ), પ્રદ્યુમન સિંહ જાડેજા(અબડાસા) તથા નીલકંઠ સોલ્ટના અરજણ સાધા કાનગડ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા સંસ્થાના મિયા હુસેન મુતવા, રસીદ સમાં, ફકીરમામદ રાયશીપોત્રા, અબ્દુલ બુઢા જત, રમઝાન હાલેપોત્રા, જુમાં મીઠન થેબા વગેરેએ સંભાળી હતી. આ અંગે સંસ્થાના ઈસા મુતવા અને ઇમરાનખાન મુતવાએ જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી અંતરિયાળ હોડકો નજીક આ પશુ મેળો યોજાય છે. આ આયોજન પાછળ સ્થાનિક બન્નીની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ બન્ની નસલની ભેંસો તથા પશુ ની પ્રજાતી કાયમ રહે તેવા હેતુસર કરવામાં આવે છે.
આજે વડોદરા એરપોર્ટ પર વડોદરાની દીકરી વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ કિક્રેટર રાધા યાદવ આવી રહી છે તેઓના ભવ્ય સ્વાગત માટે આજે ભવ્ય રોડ શો યોજાશે. વડોદરા એરપોર્ટ પર રાધા યાદવ 8 વાગ્યે આવશે અને વડોદરા એરપોર્ટથી રોડ શો શરૂ થશે. વિમેન્સ વર્લ્ડકપ વિજેતા વડોદરાની દીકરીનું ભવ્ચ સ્વાગતઆ ભવ્ય રોડ શો નો રૂટ વડોદરા એરપોર્ટથી, એરપોર્ટ સર્કલ,મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર, અમિતનગર થઇને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે રોડ શો પૂર્ણ થશે. રાધા યાદવને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. પાંચ કિલો મીટરનો રોડ શોઆ ભવ્ય રોડ શોમાં વડોદરાના સાંસદ હેમાંગ જોષી, વડોદરા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રેલી માટે કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર, બંદીશભાઇ શાહ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય પાંચ કિલો મીટરના રોડ શોમાં વડોદરાની દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પાટણના પ્રહલાદભાઈ સોનીનું દેહદાન થયું:ધારપુર મેડિકલ કોલેજને અભ્યાસ માટે શરીર અર્પણ કરાયું
પાટણના શ્રેષ્ઠી અને ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોનીનું અવસાન થતાં તેમના દેહનું દાન કરવામાં આવ્યું છે. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત ધારપુર મેડિકલ કોલેજ ખાતે તેમના દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. પ્રહલાદભાઈના પરિવારે શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાનો સંપર્ક કર્યો હતો. ડો. સોમપુરાએ ધારપુર હોસ્પિટલના એનાટોમી વિભાગના વડા ડો. બથીજા, આશીષભાઈ, ડો. વિરાજ અને સ્ટાફના સહયોગથી દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. આ પ્રસંગે પરિવારજનો, સમાજના અગ્રણીઓ, આર.એસ.એસ.ના હોદ્દેદારો અને વેપારી વર્ગ સહિત અનેક સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ટૂંકા સમયગાળામાં આ ત્રીજું દેહદાન કરવામાં આવ્યું છે. આ દેહ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મેડિકલ કોલેજને અર્પણ કરાયો છે. સ્વ. પ્રહલાદભાઈ સોનીએ આદર્શ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમણે પાટણમાં અંબિકા જ્વેલર્સની સ્થાપના કરી સોની બજારમાં નામના મેળવી હતી. તેમણે સોની સમાજના વિવિધ મંડળોમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી અને સોની સમાજ છાત્રાલય, સોની સાંસ્કૃતિક ભવન, રામજી મંદિર જેવા નિર્માણ કાર્યોમાં યોગદાન આપ્યું હતું. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક કથાઓ, સત્સંગ મંડળ, બ્રહ્માકુમારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સિનિયર સિટીઝન ક્લબ જેવી સંસ્થાઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના ચક્ષુદાન અને દેહદાન દ્વારા તેમણે સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવી રહેલા આ ટ્રકમાંથી રૂ. 11.26 લાખની કિંમતની 4704 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટ્રકને રોકાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકને સાઈડમાં લઈ તેની સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, ટ્રકના પાછળના ભાગમાં જૂના અને ફાટી ગયેલા કોથળાઓ ભરેલા જોવા મળ્યા હતા. પોલીસે આ કોથળાઓ હટાવીને જોતા તેની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 4704 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 11,26,725 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 19,46,725 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક પ્રકાશબાબુરામ (રહે. રામપુરા, જોધપુર) ની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ એલ.સી.બી.એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ નજીકથી ₹12,88,960નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના નિર્દેશોના આધારે કરવામાં આવી હતી. એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે DL.8.CAM.8982 નંબરની ક્રેટા ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1200 બોટલો/ટીન મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની કિંમત ₹2,58,960 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત, ₹10,00,000ની કિંમતની ક્રેટા ગાડી (નંબર DL.8.CAM.8982) અને ₹30,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹12,88,960 થાય છે. આ કેસમાં પોલીસે મહેન્દ્રસિંહ તનસિંગ વેણીદાન રતુ (ચારણ) નામના ઇસમને ઝડપી પાડ્યો છે. તે લાલપુરા, થાના. દેચુ, તા. શેરગઢ, જી. જોધપુર, જી. બાડમેર (રાજસ્થાન)નો રહેવાસી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ભવાનીસિંહ (જોધપુર), રામ બિશ્નોઇ (વીરાવા) અને મહેશભાઇ માતમભાઇ ભરવાડ (છાણીયાથર) સહિત કુલ ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટની પ્રથમ બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નવા યુનિવર્સિટી એક્ટ હેઠળ આ પ્રથમ બેઠકમાં આગામી જાન્યુઆરી માસમાં યુનિવર્સિટી યુવક મહોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વિદ્યાર્થીઓ માટેની વિવિધ ઇવેન્ટ્સ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. એક મહત્વના નિર્ણય મુજબ, આગામી 8, 9 અને 10 જાન્યુઆરી, 2026 દરમિયાન યુનિવર્સિટી ખાતે યુથ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કરાયું છે. વિદ્યાર્થીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે એડવેન્ચર, ટ્રેકિંગ અને પર્વતારોહણ શરૂ કરવાના ભાગરૂપે આ વર્ષથી છોકરા અને છોકરીઓ માટે બે-બે બેઝિક કેમ્પનું આયોજન કરવામાં આવશે. જે કોલેજોએ કલ્ચરલ ફી ભરી ન હોય, તે કોલેજો બાકીની ફી ભરીને આ કેમ્પમાં ભાગ લઈ શકશે. યુનિવર્સિટી દ્વારા 13 કોલેજોને શિબિરો ફાળવવામાં આવશે. આ શિબિરો 'સ્વનિર્ભર અને સ્વાવલંબન ભારત' થીમ પર આધારિત હશે, જેના માટે કોલેજો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન તમામ છ જિલ્લાઓમાં દરેક જિલ્લામાં એક-એક શિબિર યોજાશે. આ ઉપરાંત, યુવાનોમાં સ્વાભિમાન, સમરસતા, પર્યાવરણ અને કુટુંબ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે શેરી નાટકોના માધ્યમથી સમાજ જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. યુનિવર્સિટી શેરી નાટકો અંગે તાલીમ આપશે, અને તાલીમ પામેલી ટીમો કોલેજોમાં નવી ટીમો તૈયાર કરીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો રજૂ કરશે. યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શિબિરો ઉપરાંત, વર્ષમાં ત્રણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. આ વ્યાખ્યાનમાળામાં યુવાનોને પ્રેરણા આપી શકે તેવા મોટીવેશનલ સ્પીકરોને આમંત્રિત કરીને તેમને નવી દિશા અને જોમ આપવાનો પ્રયાસ કરાશે. યુનિવર્સિટીની આ પ્રથમ બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટની બેઠકમાં કુલપતિ ડો. કે.સી. પોરીયા, કમિટીના મેમ્બર સેક્રેટરી, યુનિવર્સિટી કોઓર્ડીનેટર અને નોમિનેટેડ ચાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. પ્રહલાદભાઈ ડી. સોનીનું દેહદાન અને ચક્ષુદાન ધારપુર મેડિકલ કોલેજને કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે આ દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સ્વ. પ્રહલાદભાઈ સોની પાટણના ઝવેરી બજારના વર્ષો સુધી પ્રમુખ રહી ચૂક્યા હતા. પુસ્તકાલય દ્વારા ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત આ ત્રીજું દેહદાન ટૂંકા સમયમાં જ આપવામાં આવ્યું છે. સ્વ. પ્રહલાદભાઈનું ગતરોજ દુઃખદ અવસાન થતાં, આજરોજ ધારપુર મેડિકલ કોલેજ ખાતે દેહદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા, સુનિલભાઈ પાગેદાર, રાજેશભાઈ પરીખ, હસુભાઈ સોની, અશ્વિનભાઇ નાયક, નટુભાઈ દરજી, કેશવલાલ ઠક્કર, તેમના સુપુત્ર અશ્વિનભાઈ સોની, પુત્રીઓ, પૌત્રો નૈતિક અને બીરેન સહિત સમાજના અગ્રણીઓ, આર.એસ.એસ.ના હોદ્દેદારો અને વેપારી વર્ગ ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર દ્વારા ડો. શૈલેષ સોમપુરાનો સંપર્ક કરાતા, તેમણે ધારપુર હોસ્પિટલના એનાટોમી વિભાગના વડા ડો. બથીજા, આશીષભાઈ, ડો. વિરાજ અને સ્ટાફના સહયોગથી આ પ્રક્રિયા સંપન્ન કરાવી હતી. નોંધનીય છે કે સ્વ. પ્રહલાદભાઈ સોનીએ એક આદર્શ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે પાટણમાં અંબિકા જ્વેલર્સની સ્થાપના કરી અને સોની બજારમાં વિશ્વાસ તથા પ્રેમ સંપાદન કરીને આગવી નામના મેળવી હતી. તેમણે સોની સમાજના વિવિધ મંડળોમાં પ્રમુખપદ શોભાવી સુંદર વહીવટ કર્યો હતો. સોની સમાજ છાત્રાલય, સોની સાંસ્કૃતિક ભવન અને રામજી મંદિર જેવા નિર્માણ કાર્યોમાં વર્ષો સુધી સેવા આપી હતી. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક કથાઓ, સત્સંગ મંડળ, બ્રહ્માકુમારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સિનિયર સિટીઝન ક્લબ જેવી સંસ્થાઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપી પાટણના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. શરીરે દુબળા પણ મનથી મજબૂત અને સંનિષ્ઠ વડીલ એવા પ્રહલાદકાકાએ મૃત્યુબાદ પણ ચક્ષુદાન અને દેહદાન કરીને સમાજને જીવનદર્શનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જનતાનગર ખાતે રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જાગૃત અંબાજી માતાના મંદિર પરિસરમાં યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 199મો 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હતો, જેનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને ભોજન પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ પૂજ્ય તારાબાની યાદમાં કીર્તિ કિરીટ શાહ, રાજુલા, ક્રિષ્ના અને ઈશાના સહયોગથી યોજાયો હતો.રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્વપ્નિલ, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ સહિતના સભ્યોએ વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન જગદીશ પિલુચિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ:વીર નર્મદ યુનિવર્સિટીમાં રાષ્ટ્રભક્તિપૂર્ણ ઉજવણી કરાઈ
ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક ગણાતા વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 07/11/2025 ના રોજ સવારે 9:30 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજારોહણ અને વંદે માતરમ ના ગાન સાથે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. રમેશદાન ગઢવી સહિત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોના વડાઓ, અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશાળ માનવ શૃંખલા રચી વંદે માતરમ ગીત પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. બંકિમચંદ્ર ચટર્જી દ્વારા 1875 માં રચાયેલું વંદે માતરમ ગીત રાષ્ટ્રપ્રેમ, એકતા અને માતૃભૂમિ પ્રત્યેની અખંડ ભાવનાનું પ્રતિબિંબ છે.કાર્યક્રમના અંતે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર - 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર - 3 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 115 કેન્દ્રો પરથી UG સેમ.5 અને PG સેમ.3 ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. આ પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત નિગરાની રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવેલા CCTV કેમેરાના મોનીટરીંગ થકી ગેરરીતિ અટકાવી શકાશે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે જણાવ્યુ હતુ કે, તા.11 નવેમ્બરથી દિવાળી વેકેશન બાદની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં બીએ સેમેસ્ટર - 5 રેગ્યુલરમાં 14465 અને એક્સટર્નલમાં 2160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીકોમ સેમેસ્ટર - 5 રેગ્યુલરમાં 11980 તો એક્સટર્નલમાં 385 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત સેમેસ્ટર - 5 માં બીસીએમાં 6110, બીબીએમાં 3022 અને એલએલબીમાં 2290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ સાથે જ એમકોમ સેમેસ્ટર - 3 રેગ્યુલરમાં 1675 અને એક્સ્ટર્નલમાં 1680 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. કુલ 37 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 115 પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી અને સુપરવાઇઝર સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા ન ઝડપાય.
મોરબીમાં બાળકના ઝઘડામાં યુવાન પર છરી હુમલો:બીજી વખત જીવતો નહીં મૂકીએ ધમકી આપનાર ચાર ઝડપાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં બાળકના સામાન્ય ઝઘડાને કારણે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથા અને પડખાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલા બાદ આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી મહમદઅમીન ગુલમહમદ કટિયા (38)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.5ના રોજ તેમની દીકરી તાહીરાબાનુએ જણાવ્યું હતું કે મીરમહમદની દીકરી આઈસા તેની સાથે ગાળાગાળી કરી રહી હતી. આ બાબતે ફરિયાદીએ પોતાની દીકરીને ઝઘડો ન કરવા સમજાવી હતી. ત્યારબાદ મીરમહમદનો નાનો દીકરો રેહાન ફરિયાદીના ઘર પાસે આવીને તોફાન કરતો હતો અને જેમ ફાવે તેમ બોલતો હતો. આ જોઈને ફરિયાદીના પિતા ગુલમહમદ કટિયા અને નાનો ભાઈ અલ્તાફ મીરમહમદના ઘરે રેહાનના તોફાન બાબતે સમજાવવા ગયા હતા. તેઓને પરત આવવામાં વાર લાગતા મહમદઅમીન પણ મીરમહમદના ઘરે પહોંચ્યા હતા. ત્યાં મીરમહમદ અને તેનો દીકરો યુનુસ જોર જોરથી ગાળો બોલી રહ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ મહમદઅમીનને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને બચાવવા પિતા અને ભાઈ વચ્ચે પડ્યા ત્યારે મીરમહમદના પત્ની નસીમબેન અને દીકરા શાહીદે પણ ગાળો બોલી હતી. આ દરમિયાન યુનુસે પોતાની પાસે રહેલી છરી વડે મહમદઅમીનભાઇના માથાના ભાગે અને ડાબી બાજુ પડખાના ભાગે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. હુમલા બાદ આરોપીઓએ મહમદઅમીનભાઇને આજે તું બચી ગયો છો, બીજી વખત જીવતો નહીં મૂકીએ, ઠામ પતાવી દેશું તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે મહમદઅમીનની ફરિયાદના આધારે મીરમહમદ ઉર્ફે ડાડો કટિયા, નસીમબેન મીર મીરમહમદ કટિયા, યુનુસ મીરમહમદ કટિયા અને શાહિદ મીરમહમદ કટિયા વિરુદ્ધ ગુનો નોંધી, તમામ ચાર આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના ચોથા ધોરણના વિદ્યાર્થી હિતાંશ ત્રિવેદીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન, બન્યો 'IBR Achiever' પોર્ટુગલ, સર્બિયા અને તુર્કીમાં ગોલ્ડ મેડલ વિજેતા હિતાંશ ત્રિવેદીના ચિત્રોનું ભાવનગરમાં પ્રદર્શન માત્ર નવ વર્ષના અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિતાંશ માનસી ત્રિવેદીએ એક અનોખા કલા પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ ત્રિદિવસીય પ્રદર્શન શહેરના સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે મહાનુભાવો ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, “મારી રંગોની દુનિયા” શીર્ષક અંતર્ગત માત્ર નવ વર્ષનો અને સ્વામિનારાયણ પ્રાથમિક શાળા સરદારનગરમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિતાંશ માનસી ત્રિવેદીએ પોતાની કલ્પનાની અનોખી દુનિયા બતાવી છે, ખાસ કરીને હિમાંશુ ત્રિવેદી દ્વારા બનાવેલા ચિત્રો અને કૃતિઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી છે, સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિતાંશ માનસી ત્રિવેદી 9 વર્ષની નાની ઉંમરે અદ્દભુત સિદ્ધિ હાંસલ કરી છે. India Book of Records દ્વારા તેમને “IBR Achiever” તરીકે માન્યતા અપાઈ છે. હિતાંશે વર્ષ 2022 થી 2025 દરમિયાન વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડ્રોઇંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 5 એવોર્ડ્સ, 4 Honourable Mention Certificates અને 6 Participation Certificates પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ ધારક તરીકે માન્યતા મળી હતી, જે શાળા અને પરિવાર માટે ગૌરવ લાવે છે, માનસી ત્રિવેદી હિતાંશ ત્રિવેદીની મમ્મીએ જણાવ્યું હતુંબકે, હિતાંશે અઢી વર્ષનો હતો ત્યારથી એક સપનું જોયું હતું કે હું મોટો થઈશ એટલે હું આર્ટિસ્ટ બનીશ. હવે એ સપનાને ધીરે ધીરે મોટિવેશન મળ્યું, એમ એમ એણે પાંચ વર્ષથી એને થોડી થોડી ટ્રેનિંગ લેવાની ચાલુ કરી અને આજે એ આ સ્તર સુધી પહોંચી ગયો છે કે જેમાં એને ઇન્ટરનેશનલ, નેશનલ, અને રાજ્ય કક્ષાના એવોર્ડ મળ્યા છે. અને એ એટલો આગળ વધી ગયો છે કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એનું નામ લેવામાં આવ્યું છે. અત્યારે એ IBR એચીવર તરીકે અત્યારે ઓળખાય છે. તેણે પોર્ટુગલ, સર્બિયા, તુર્કીમાં એને ગોલ્ડ મેડલ મળેલો છે પોર્ટુગલમાં એને સિલ્વર ક્લાસ આવેલો છે. સર્બિયામાં એ ઓલ ઓવર વર્લ્ડમાં ફર્સ્ટ આવ્યો હતો, એ પછી એણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરી અને આજે એની જે આ પેઇન્ટિંગ્સ છે, જે લોકોને કલાપ્રેમીઓએ બધાને હું આવકારું છું અને આવો જુઓ અને તમારા બાળકોને પણ અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ પ્રેરણા પૂરી પાડો કે જેથીએ આગળ વધી શકે. આ પ્રદર્શન તા.8, 9 અને 10 શનિ-રવિ-સોમવાર એમ ત્રણ દિવસ માટે સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું રહેશે, મારી રંગોની દુનિયા શીર્ષક હેઠળ, હિમાંશુ ત્રિવેદીએ પોતાની કલાત્મક પ્રતિભા દ્વારા કલાની એક અનોખી દુનિયા બનાવી છે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિભાગના આચાર્ય ધર્મભાઈ પટેલ, ચિત્રકાર રાજનભાઈ શાહ, આંતરરાષ્ટ્રીય બાળ ચિત્રકલાના જાણકાર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, કોર્પોરેટર હીરાબેન એચ. વિંઝુડા, ક્લાપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય સિનિયર સિટીઝનને રાતોરાત લખપતિ બનાવવાની લાલચ આપવી સાયબર ગઠિયાઓને ભારે પડી છે. HYFIN Markets Ltd નામની બોગસ ફોરેક્ષ ટ્રેડિંગ કંપનીમાં વાર્ષિક 70%ના ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાઓએ સિનિયર સિટીઝન પાસેથી તેમની જિંદગીભરની કમાણીના રૂ. 29,06,283 પડાવી લીધી હતી. આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે નવી મુંબઈ ખાતે ધમધમતા એક કોલ સેન્ટર પર દરોડો પાડી તેના મેનેજરની ધરપકડ કરી છે. આ ગેંગ માત્ર સુરત જ નહીં, પરંતુ દેશભરમાંથી લોકો પાસેથી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ચૂકી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પહેલા પૈસા પરત આપી, પછી જિંદગીભરની કમાણી લૂંટીઆ કેસની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી છે. ગઠિયાઓએ પહેલા ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે એક આખીયે યોજના ઘડી હતી. ઓક્ટોબર 2024માં ભોગ બનનાર સિનિયર સિટીઝનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ HYFIN Markets Ltd ના પ્રતિનિધિ તરીકે આપી અને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવા પર વાર્ષિક 70 ટકા જેટલું માતબર વળતર મળશે તેવી લાલચ આપી હતી. પોર્ટલ પર તગડો નફો જોઈને ફરિયાદીને લાલચ જાગીશરૂઆતમાં, ફરિયાદીએ શંકા સાથે માત્ર 3 લાખ રૂપિયાનું નાનું રોકાણ કર્યું. ગઠિયાઓએ તેમને એક પોર્ટલનું લોગ-ઇન આઇડી અને પાસવર્ડ પણ આપ્યું, જ્યાં તેમના પૈસાનું રોકાણ અને નફો થતો દેખાતું હતું. થોડા જ દિવસોમાં, પોર્ટલ પર તગડો નફો જોઈને ફરિયાદીને લાલચ જાગી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમણે પહેલા પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગઠિયાઓની જાળ અહીં જ હતી. પૈસા જમા થતાં જ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યોતેમણે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તરત જ તેમના પૈસા પરત આપી દીધા. આ એક જ ઘટનાએ સિનિયર સિટીઝનનો તમામ શક દૂર કરી દીધો અને તેમને ખાતરી થઈ ગઈ કે આ કંપની અસલી છે. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવી, તેમણે જાન્યુઆરી 2025માં પોતાની જિંદગીભરની જમાપૂંજી કુલ રૂ. 29,06,283 અલગ-અલગ બેંક ખાતાઓમાં અને રોકડ મારફતે જમા કરાવી દીધા. પૈસા જમા થતાં જ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો. પોર્ટલ પરથી વિડ્રો ઓપ્શન બંધ કરી દેવામાં આવ્યું અને જે નંબર પરથી ફોન આવતા હતા તે પણ બંધ થઈ ગયા. પોતે છેતરાયા હોવાનું જણાતા, વૃદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. પોલીસે મુંબઈમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરીફરિયાદ મળતા જ સુરત સાયબર ક્રાઇમ સેલના પીઆઇ સહદેવસિંહ પઢેરિયા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. HYFIN Marketsના પોર્ટલ અને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તેના ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેઇલના આધારે પોલીસના હાથ નવી મુંબઈ સુધી પહોંચ્યા હતા. પોલીસ ટીમે નવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાં દરોડો પાડી, શાહબાઝ શબ્બીર અબ્દુલા શેખ (ઉં.વ. 33) નામના યુવકની ધરપકડ કરી હતી. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોઈ અન્યશાહબાઝની પૂછપરછમાં જે વિગતો ખુલી તે આશ્ચર્યજનક હતી. તે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નહોતો, પરંતુ નવી મુંબઈમાં એક ઘરમાં ચાલતા આખા કોલ સેન્ટરનો મેનેજર હતો. આ કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ છે, જે શાહબાઝને વોટ્સએપ પર લોકોનો લીક થયેલો ડેટા-નામ, મોબાઇલ નંબર, ઈમેલ મોકલતો હતો. શાહબાઝનું કામ આ ડેટાને વર્ગીકૃત કરવાનું હતું. તેની નીચે 5-6 ટેલીકોલર કામ કરતા હતા. તે રાજ્ય અને ભાષાના આધારે ડેટા વહેંચતો. જેમ કે, ગુજરાતના ટાર્ગેટ માટે તે ગુજરાતી જાણતા કોલરને ડેટા આપતો અને મહારાષ્ટ્રના ટાર્ગેટ માટે મરાઠી જાણતા કોલરને. આ કારણે પીડિતોને સહેલાઈથી વિશ્વાસમાં લઈ શકાતું હતું. મેનેજરનો પગાર અને કરોડોની ઠગાઈનો હિસાબઆ કામ માટે શાહબાઝને માસિક રૂ. 30,500 પગાર અને રૂ. 7,000 કમિશન મળતું હતું. તેણે ઠગાઈના પૈસા મેળવવા માટે Ms.Falcon Tradingના નામે પોતાની માલિકીની પેઢીનું RBL બેંકમાં કરંટ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. સુરતના ફરિયાદીના 29 લાખમાંથી રૂ. 3,61,280 સીધા શાહબાઝના આ ખાતામાં જમા થયા હતા. પોલીસે જ્યારે આ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ જેમ કે, એચ.એમ. મલ્ટીમીડિયા ટ્રેડ, એચ.એફ.સી. ટેક્નોલોજી વગેરેને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચકાસ્યા, ત્યારે આ જ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી અન્ય 9 ફરિયાદો નોંધાયેલી મળી આવી હતી. પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યાંઆ તમામ ફરિયાદો મળીને, આ ગેંગ અત્યાર સુધીમાં કુલ રૂ. 1,11,17,586 ની રકમની છેતરપિંડી કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમે શાહબાઝની ધરપકડ કરી, તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. હવે પોલીસ આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને 7 નવેમ્બર 2025ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં થયેલ ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો નથીનો આક્ષેપ થયો છે. નવા પરિપત્ર સામે પ્રહલાદ મોદીનો આંદોલનનો હુંકારસસ્તા અનાજની દુકાનના સંચાલકો સાથે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં પ્રહલાદ મોદીએ ફરી એકવાર આંદોલનનો હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારે તાત્કાલિક નવો પરિપત્ર પાછો ખેંચવો પડશે, નહીં તો દુકાનદારોને આંદોલન કરવાની ફરજ પડશે. તેમનું કહેવું છે કે દુકાનદારો સાથે 4 નવેમ્બરના રોજ સમજૂતી થઈ હોવા છતાં, સરકારે એકતરફી રીતે નવો પરિપત્ર બહાર પાડીને વિશ્વાસઘાત કર્યો છે. 'ચર્ચાથી વિપરિત વસ્તુ રજુ કરવામાં આવી, તેનો સખત વિરોધ છે'ફેર પ્રાઇસ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, આ પરિપત્ર બે દિવસમાં સુધારીને આપવાનું નક્કી થયું તે મુજબ આપે પરિપત્ર આપ્યો, પરંતુ એમા થયેલી ચર્ચાથી વિપરિત વસ્તુ રજુ કરવામાં આવી છે. તેનો સખત વિરોધ છે. એમાં કલમ નં. 2 માં લખ્યું છે કે, કે વ્યવસ્થા મામલતદાર અથવા કલેક્ટર ઓફિસના કર્મચારી કરશે. એમાં કોઈ જગ્યાએ એવો સ્પષ્ટ નથી લખેલું કે દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી મામલતદાર કે કલેકટરના કર્મચારીઓની રહેશે. માટે એ લખવું જોઈએ એવું અમારું માનવું છે. પચાસ ટકા સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાતએસોસિયેશન મુજબ, 4 નવેમ્બરની બેઠકમાં દુકાન પર જથ્થો ઉતારતી વખતે માત્ર બે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન લેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ નવા પરિપત્રમાં 1 એપ્રિલ 2026થી પચાસ ટકા સભ્યો અંદાજે 5થી 6 સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાત કરાયું છે. 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગીએસોસિએશનોનું કહેવું છે કે, આ નિર્ણય સમજૂતીના મૂળ ભાવને ખંડિત કરે છે અને દુકાનદારો માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે. દુકાનદારોના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. 'કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી'દુકાનદારોનો આક્ષેપ છે કે, કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી ગઈ છે અને ટોચના અધિકારીઓએ મંત્રીઓને સાચી માહિતી આપ્યા વિના મનપસંદ નિર્ણયો દબાવી દીધા છે. એસોસિએશનના આગેવાનોએ તો આક્ષેપ કર્યો કે અધિકારીઓએ સરકારથી ઉપર જઈને નિર્ણય લઈને પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. '4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું'તેમણે વધુમાં કહ્યું કે, ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકો તથા દુકાનદારોની વાસ્તવિક પરેશાનીઓ સમજવા બદલે અધિકારીઓએ જટિલ પ્રક્રિયા લાદી છે, જેનાથી 4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયા મળવાની બાકી છે.
મહીસાગર SOG પોલીસે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી મહેશ કોદરભાઈ પરમારને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા 27 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી 15 દિવસીય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત, SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન, SOG પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, કોઠંબા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2), 87, 64(2)(એમ), 65(1), 54 તથા પોક્સો એક્ટ 4, 5(એલ), 6 હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી મહેશ કોદરભાઈ પરમાર (રહે. સાલૈયા પેટે ખટારીયા, તા. વીરપુર, જિ. મહીસાગર) હાલ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે મજૂરી કરતો હતો. આ બાતમીના આધારે, SOG પીએસઆઈ એચ.બી. સિસોદિયા, એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ, અક્ષયકુમાર અને કોન્સ્ટેબલ કિર્તિપાલસિંહની ટીમે સંખેડા જઈ તપાસ કરી. ટીમને આરોપી મહેશ પરમાર મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને મહીસાગર જિલ્લામાં લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.
ગોધરામાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવાયો:અમદાવાદ હાઇવે પર સૂર્યનગર સોસાયટી પાસે મળ્યો જથ્થો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર આવેલ સૂર્યનગર સોસાયટી પાસે ઝાડી ઝાંખરામાં મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લામાં ઠાલવી દેવામાં આવ્યો છે. આ વેસ્ટ કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંચાલક દ્વારા નાખવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ બાયોમેડિકલ વેસ્ટમાં બિનઉપયોગી ટેબ્લેટ, ખાલી દવાઓની બોટલ, ઇન્જેક્શન અને સોય સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવવાથી અનેક સવાલો ઉભા થયા છે, જોકે કોણે ઠાલવ્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ પ્રકારની ઘોર બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે. નિયમો વિરુદ્ધ જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા તબીબો અને હોસ્પિટલો સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે, બાયોમેડિકલ વેસ્ટને નિયમ મુજબ પેકિંગ કરીને નિર્ધારિત એજન્સીઓ દ્વારા વાહનોમાં હોસ્પિટલોમાંથી લઈ જવામાં આવે છે. કોઈપણ ખુલ્લી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવી શકાતો નથી. આ કૃત્યથી આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને હવે આરોગ્ય વિભાગ આ અંગે શું તપાસ કરે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે અને નાના બાળકોથી લઈને સ્થાનિક રહીશોની અવરજવર મોટી સંખ્યામાં રહે છે. આવા સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય થતા સોસાયટીના લોકોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં PGVCLના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વીજ ચેકિંગ દરમિયાન બની હતી, જેમાં ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, PGVCL કર્મચારીઓ વીજ ચેકિંગ માટે આવ્યા હતા, પરંતુ તેમની પાસે ઓળખકાર્ડ નહોતા. આ ઉપરાંત, તેઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી. આ કારણોસર ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવ્યું હતું. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ ગેરકાયદેસર રીતે લોકોના ઘરોમાં પ્રવેશ કરી રહ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ગ્રામજનોએ અગાઉ પણ PGVCL સંબંધિત અનેક અરજીઓ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં PGVCLનો ડ્રાઈવર પણ ગ્રામજનો સાથે દાદાગીરી કરતો જોવા મળે છે. આ અંગે મુળી PGVCLના ઈજનેર વિજયભાઈ સાપરાએ જણાવ્યું કે, તેઓ ઈશ્વરીયા ગામે ચેકિંગમાં ગયા હતા ત્યારે ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમને ચેકિંગ કરવા દીધું નહોતું. આથી તેઓ વગર ચેકિંગે પરત આવી ગયા હતા અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
રૂપાલમાં ઝાંઝરી માતાજીનો 23મો પાટોત્સવ:અન્નકૂટ દર્શન અને મહાઆરતીનું ભવ્ય આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ખાતે આવેલા ઝાંઝરી માતાજીના મંદિરે 26 નવેમ્બર, બુધવારના રોજ માગશર સુદ છઠના દિવસે 23મો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ દર્શન અને શેષનાગ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના દિવસે સવારે 8:30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે અન્નકૂટ દર્શન યોજાશે, ત્યારબાદ 12:39 કલાકે ધજા ચડાવવામાં આવશે. સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમ સાથે નવચંડી હવનની પૂર્ણાહુતિ થશે. સાંજે 6 કલાકે 551 દીવાની શેષનાગ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ 6:15 કલાકે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે.
ભચાઉમાં રેલવે ટ્રેક કામગીરીથી બે માર્ગ બંધ:વૈકલ્પિક માર્ગ માટે અન્ય અન્ડરપાસ વ્યવસ્થિત કરવા માંગ
ભચાઉ નગરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે, જેના પરિણામે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે. ભૂકંપ બાદ નવનિર્મિત ભચાઉના દક્ષિણ દિશામાં આવેલા નવા ભચાઉ વિસ્તારમાં નગરની ત્રીજા ભાગની વસ્તી વસવાટ કરે છે. આ વિસ્તારમાં નવા બે રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે અવરજવર માટેના બે માર્ગો કાયમી ધોરણે બંધ કરી દેવાયા છે. આનાથી લોકોને ફાટક પર લાંબો સમય રાહ જોવી પડે છે અને સમયનો વ્યય થાય છે. ભચાઉના નાગરિક જીતેન્દ્ર જે વાણીયાએ આ અંગે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનથી પટેલ અને જૈન બોર્ડિંગ સુધી કુલ ચાર અન્ડરપાસ આવેલા છે. તેમાંથી બે અન્ડરપાસ હાલમાં કામગીરીના કારણે બંધ છે. તેમણે સૂચવ્યું કે અન્ય બે અન્ડરપાસની આસપાસ સફાઈ કરીને અને રસ્તાને દુરસ્ત કરીને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. નગરજનોની માંગ છે કે રેલવે તંત્ર, વહીવટી વિભાગ અને સ્થાનિક લોકનેતાઓ આ બાબતે રસપૂર્વક રજૂઆત કરે અને યોગ્ય પગલાં ભરે. જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પ્રજાને વારંવાર ફાટક પર સમય વેડફવો નહીં પડે અને વર્તમાન સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારી યુનિટી માર્ચ અંગે છોટા ઉદેપુરના સાંસદ જશ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી માટે આગામી દિવસોમાં યુનિટી માર્ચ કાઢવામાં આવશે. આ યાત્રા જિલ્લા સ્તરે વિધાનસભા દીઠ યોજાશે. છોટા ઉદેપુર વિધાનસભા વિસ્તારમાં 18 નવેમ્બર 2025ના રોજ, જેતપુર પાવી વિધાનસભા વિસ્તારમાં 19 નવેમ્બર 2025ના રોજ અને સંખેડા વિધાનસભા વિસ્તારમાં 20 નવેમ્બર 2025ના રોજ યુનિટી યાત્રા નીકળશે. જેમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ યાત્રા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરદાર પટેલે દેશના 562 રજવાડાઓને જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, તે જ રીતે 562 જેટલા વૃક્ષો વાવીને 'સરદાર સ્મૃતિ વન' બનાવવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને 'જનજાતિ ગૌરવ વર્ષ' તરીકે ઉજવવાનું પણ નક્કી કરાયું છે. જેના ભાગરૂપે બે અલગ-અલગ જગ્યાએથી યાત્રા નીકળશે. એક યાત્રા 7 નવેમ્બર 2025ના રોજ ઉમરગામથી નીકળશે અને બીજી યાત્રા અંબાજીથી શરૂ થશે. આ બંને યાત્રાઓ 13 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે પૂર્ણ થશે. આ યાત્રા 12 નવેમ્બર 2025ના રોજ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી, પાવી જેતપુર અને તેજગઢ પહોંચશે અને રાત્રિ રોકાણ છોટા ઉદેપુર ખાતે કરશે. ત્યારબાદ, 13 નવેમ્બર 2025ના રોજ છોટા ઉદેપુરથી નીકળી પાનવડ, કવાંટ, ભાખા, નસવાડી થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે અને એકતાનગર પહોંચી યાત્રાનું સમાપન કરશે.
• કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે : ગોપાલ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનને પગલે સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જો કે આ પછી આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પેકેજને કૃષિ મજાક પેકેજ ગણાવ્યું હતું તેમને આક્ષેપ કરતા કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોની મજાક બનાવવામાં આવી છે જો ખેડૂતને મદદ કરવી જ હોય તો હેકટર દીઠ 50,000 આપવામાં આવે, માત્ર બે હેકટર નહિ દરેક ખેડૂતને આપવામાં આવે તેવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માંગ છે. આ તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આપના બે બાપ કહી જાહેરમાં સંબોધન કરવામાં આવતા હોવાથી તેને જવાબ આપતા કહ્યું કે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને હજુ વધારે રેડાઈ તો પણ અમને વાંધો નથી ખેડૂતો અમારા માં-બાપ છે અમે જાહેરમાં કહીએ છીએ. દરેકના ફળિયામાં એક એક હેલીકૉપટર ઉભા રહેશે રાજકોટ આવેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા દશ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સાંભળવામાં તો એવું લાગે કે ખેડૂતો બધા માલામાલ થઇ જશે અને દરેકના ફળિયામાં એક એક હેલીકૉપટર ઉભા રહેશે. પરંતુ આ ખેડૂતોની મજાક બનાવી છે આ રાહત પેકેજ નહિ પરંતુ કૃષિ મજાક પેકેજ છે. સરકારના આ પેકેજથી ખેડૂતો માત્ર આત્મહત્યા કરવા માટે ઝેરી દવા ખરીદી શકે તેમ છે. સરકાર જો ખરા અર્થમાં મદદ કરવા માંગતી હોય તો દરેક ખેડૂતને હેકટર દીઠ 50,000ની સહાયની જાહેરાત કરે કારણ કે માત્ર બે હેકટર જમીનમાં વરસાદ નથી વરસ્યો વરસ બધી જ જમીન પર પડ્યો છે માટે દરેક ખેડૂતને હેકટર દીઠ 50,000ની સહાય આપવામાં આવે તેવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માંગ છે. પલડેલા તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ તેમને વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે તો તેમાં ભીની પલળેલી ખેડૂતોની મગફળી લેવાશે કે કેમ તે હજુ કોઈને ખબ નથી ખેડૂતોની મગફળી પલળી ગઈ છે તો એમાં બાંધછોડ કરી ખરીદ કરવામાં આવે તે જરૂરી છે એ જ રીતે માત્ર મગફળી નહિ કમોસમી વરસાદના કારણે પલડેલા તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી અમારી માંગ છે તો ખરા અર્થમાં ખેડૂતની મદદ કરી તેવું કહી શકાય. ચૂંટણી આવે એટલે બધા ખેડૂતોના નામે લડવાની વાતો કરતા હોય છે પરંતુ અમે તો ખેડૂતોના પ્રશ્ને પણ લડીએ છીએ, ટીપીના પ્રશ્નો પણ ઉઠાવીએ છીએ સામાન્ય માણસોના દરેક પ્રશ્ન ઉઠાવી રહી છે સરકાર પણ જનતાના કામો કરી શકે છે ચૂંટણી આવ્યે જનતા નક્કી કરશે કોને મત આપવો એ પરંતુ હાલમાં અમારું તો સ્પષ્ટ માનવું છે ગુજરાતની જનતાનો અવાજ બની ગુજરાતની જનતાને ન્યાય અપાવવો એ મુખ્ય લક્ષ્યાંક છે. ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે અમરેલી કોંગ્રેસના નેતાઓ છેલ્લા બે દિવસથી નિવેદનો આપી આપ ના બે બાપ છે તેવા નિવેદનો કરી રહી છે જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હવે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે હજુ વધુ રેડાઈ તો પણ અમને વાંધો નથી. અમારા બે નહિ પરંતુ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે અમે જાહેરમાં આ વાત સ્વીકારીએ છીએ કે ગુજરાતના ખેડૂતો અમારા માં-બાપ છે.
રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અહીં બંને આરોપીએ લંગડાતા ચાલી, બે હાથ જોડી માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા 10 દિવસ થયાં છતાં હજુ પોલીસ પકડથી દૂર છે. બન્ને ગેંગના સભ્યોએ લોકોની માફી માગી, કારમાં હોવાનું કબૂલ્યુંરાજકોટ શહેર SOG પોલીસ દ્વારા મંગળા રોડ પર થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં વધુ ત્રણ આરોપી રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા અને અલ્કાફ ઉર્ફે જલાનગી અબ્બાસની ધરપકડ કરી છે. રાજકોટ SOG પીઆઇ સંજયસિંહ જાડેજાની ટીમ દ્વારા આજે (8 નવેમ્બર) આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. અહીં આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીએ લંગડાતા પગે ચાલી બનાવના દિવસે થયેલી ઘટના વર્ણવી હતી અને બે હાથ જોડી લોકોની માફી માગી હતી. પોલીસ તપાસમાં આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા ફાયરિંગ થયા દિવસે સ્વીફ્ટ કારમાં સાથે હોવાનું સામે આવ્યું છે. જ્યારે અરમાન ઉર્ફે ચક્કી મૂર્ઘા ગેંગ સાથે સ્કોર્પિયો કારમાં હોવાનું સામે આવ્યું છે. રાજપાલ સામે હત્યાની કોશિશનો વધુ એક ગુનો નોંધાયોઆરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજાને વર્ષ 2016માં પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યામાં આજીવન કેદની સજા થઈ ચુકી છે. જામીન પર છુટયા બાદ પોલીસ કર્મચારી ભરતદાન ગઢવીની હત્યા કેસમાં સાક્ષી જીજ્ઞેશભાઈએ કોર્ટમાં આરોપી રાજા જાડેજા વિરુદ્ધ જુબાની આપતા તેનો ખાર રાખી રાજા જાડેજા અને તેના સાગરીતોએ સાથે મળી 18 ડિસેમ્બર, 2024ના રોજ રાત્રિના સમયે હત્યાના બનાવને નજરે જોનાર સાક્ષીના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી કોર્ટમાં જુબાની ન આપવા ધમકી આપી હતી. આમ તેના વિરુદ્ધ હત્યાની કોશિષના બે ગુના નોંધાયા હતા અને હવે ફરી મંગળા રોડ પર ફાયરિંગ કેસમાં નામ ખુલતા તેના વિરુદ્ધ હત્યાની કોશિષનો વધુ એક ગુનો નોંધાયો છે. (રાજકોટમાં લંગડાતા અને ખુલ્લા પગે પેંડા ગેંગની 'પાપા પગલી') મુખ્ય આરોપી હજુ પણ ફરારઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા મંગળા રોડ પર ફાયરિંગ કેસમાં અત્યાર સુધી કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા ઘટનાને 10 દિવસ થયાં છતાં પણ પોલીસ પકડથી દૂર છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અલગ-અલગ રાજ્યોમાં તપાસ અર્થ પહોંચી હતી, પરંતુ આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. આ પણ વાંચો.... અંધાધૂંધ ફાયરિંગ કરનારાઓએ લંગડાતા પગે બે હાથ જોડી માફી માગી, 'પેંડા ગેંગ' બાદ 'મૂર્ઘા ગેંગ'ના 3 સાગરિતો ઝડપાયા આ પણ વાંચો... પેંડા ગેંગ VS મૂર્ઘા ગેંગનો આતંક, સામસામે ત્રીજી વખત ગોળીબાર
ઓક્ટોબર 2025માં પડેલ કમોસમી માવઠાને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકશાન થયું છે ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે ડુંગળીને પોષણક્ષમ ભાવ નહીં મળતા ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું છે. ડુંગળીના ભાવ તળીયે જતા ખેડુતોના હાલ બેહાલ થયાભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે પોતાની વાડીમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળીયે જતા ખેડુતોના હાલ બેહાલ થયા છે. ત્યારે આજરોજ મહેન્દ્રસિંહ ગોહિલ નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 વિઘા માં ડુંગળી નું વાવેતર કર્યું હતું. કમોસમી માવઠાથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગજેમાં કમોસમી વરસાદ પડતાં ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતે ડુંગળીના પાકમાં રોટાવોટર મશીન ફેરવી દીધું જેમાં ખેડૂતે અંદાજિત 75000 રૂપિયાનો ખર્ચે ડુંગળીના વાવેતર પાછળ કર્યો હતો અને અને પૂરતા ભાવ પણ ન મળતા અંતે કંટાળી જઈને ખેડૂતે નિષ્ફળ ગયેલા પાક ઉપર કટર મારીને પોતાની વેદના ઠાલવી હતી. રોટાવેટર મશીન ફેરવીને ડુંગળીનો નાશ કર્યોભાવનગર જીલ્લામા દર વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે. અને જિલ્લામાં થતી ડુંગળી અન્ય રાજ્ય સહિત અન્ય દેશોમાં પણ નિકાસ થતો હોય છે આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂતોને ચોમાસુ પાક તો બગડી ચૂક્યો છે પરંતુ હવે શિયાળું વાવેતર કરે તે પહેલા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ખેડૂતનું કહેવું છે કે ચાર મહિના રાત દિવસ મહેનત કર્યા બાદ પણ જો તેમને પોસાય નહીં તેવા ભાવ માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન મળતા હોય જેથી તેમને મજૂરી ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ બને છે. જેના કારણે ખેડૂતે હવે પોતાની વાડીએ રોટાવેટર મશીન ફેરવીને ડુંગળીનો નાશ કર્યો છે. 'ચોમાસુ પાક નિષ્ફળ ગયો'ખેડૂતનું કહેવું છે કે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે માટે ભાવ પણ પૂરતો મળી રહ્યો નથી સાથે જ હવે પછીની રવિ સીઝનમાં જો નવું વાવેતર કરવું હોય તો આ નિષ્ફળ અને પોષણક્ષમ ભાવ ન મળવાનાં કારણે ડુંગળીના પાક ઉપર કટરના છૂટકે માર્યું છે.
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમ વિજેતા બની છે. આ સ્પર્ધા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, રાજનગર-પાલડી ખાતે યોજાઈ હતી. આ જીત સાથે ટીમે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે સ્થાન મેળવ્યું છે.
મહિલા કોલેજમાં વંદે માતરમ ગીતનું ગાન:150 વર્ષની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીનીઓએ કર્યું ગાન
બાપુનગર સ્થિત મહિલા વાણિજ્ય મહાવિદ્યાલયમાં વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રમુખ પુરષોત્તમ કકાણી, મેનેજિંગ ડાયરેક્ટર વી. પી. પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ સહિતના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

27 C