SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ચેન્જિંગ રૂમના મિરરથી પણ તમારો સ્પાય વીડિયો બની શકે!:મહિલાઓને જાગૃત કરવા સુરત પોલીસનું અભિયાન, ફિંગર ટેસ્ટથી આ રીતે કરો મિરરની ઓળખ

છેલ્લા કેટલાક સમયથી મોલ અને શોપિંગ સેન્ટરના ચેન્જિંગ રૂમના સ્પાય વીડિયો વાઈરલ થયા બાદ યુવતીઓ અને મહિલાઓની પ્રાઈવસીને લઈ સવાલ ઉભો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચેન્જિંગ રૂમમાં લાગેલા મિરર મારફત પણ તમારો સ્પાય વીડિયો બની શકે અથવા તમને કોઈ છુપી રીતે જોઈ શકે છે. ચેન્જિંગ રૂમમાં જો ટુ વે મિરર લગાવવામાં આવ્યો હોય તો મિરર સામે ઉભી રહેલી વ્યકિત પોતાને તો મિરરમાં જોઈ શકે છે. પણ મિરર પાછળ કોઈ હોય તો તે પણ સામેની વ્યકિતને નિહાળી શકે છે. આ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચવું? તેની સમજ આપવા માટે સુરત પોલીસની 'શી' ટીમ એક અભિયાન ઉપાડ્યું છે. સુરત મહિલા પોલીસની ટીમ હાલ અલગ અલગ શોપિંગ સેન્ટરમાં અને મોલમાં જઈને જ્યાં ચેન્જિંગ રૂમ હોય ત્યાં યુવતીઓ અને મહિલાઓને સિંગલ વે અને ટુ વે મિરર વચ્ચેનો ભેદ બતાવે છે. ચેન્જિંગ રૂમમાં ક્યાંય ટુ વે મિરર લાગ્યો હોય તો તેની ઓળખ કઈ રીતે કરવી તેની સમજ આપી રહી છે. દિવ્ય ભાસ્કરના વાંચકો પણ આ બાબતથી જાગૃત થઈ શકે તે માટે સુરત પોલીસની ટીમે લાઈવ ડેમ કરી માહિતી આપી હતી. સુરતની પોલીસની શી ટીમ બની 'પ્રાઈવસી ગાર્ડ'ચેન્જિંગ રૂમમાં સ્પાય કેમેરા મૂકીને વીડિયો બનાવી લેવાતા હોય છે તે વાત હવે નવી નથી રહી. ખરીદી સમયે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતી યુવતી અને મહિલાઓને હંમેશા આ બાબતનો ડર રહેતો હોય છે અને તેઓ ચેન્જિંગના રૂમના ઉપયોગ પહેલા જાગૃત પણ રહેતા હોય છે. જો કે, ચેન્જિંગ રૂમમાં ટુ વે મિરરના ઉપયોગથી પણ કોઈ અજાણી વ્યકિત સ્પાય વીડિયો બનાવી શકે છે. આ બાબતને લઈને જ હાલ સુરત પોલીસની શી ટીમે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. મહિલા પોલીસ જવાનો અલગ અલગ મોલના ચેન્જિંગ રૂમમાં જઈને યુવતી અને મહિલાઓને લાઈવ ડેમો આપી જાગૃત કરી રહી છે. આંગળીના ટેરવાની મદદથી તમે પણ મિરરની ઓળખ કરી શકશોપોલીસ દ્વારા ટુ-વે મિરર ઓળખવા માટે જે સૌથી સરળ અને સચોટ પદ્ધતિ શીખવવામાં આવી રહી છે, તે છે 'ધ ફિંગર ટેસ્ટ'. જો સામાન્ય મિરર હોય તો?જ્યારે તમે સામાન્ય કાચ પર આંગળીની ટોચ મૂકો છો, ત્યારે તમારી આંગળી અને કાચમાં દેખાતી તેની પ્રતિકૃતિ વચ્ચે નાનકડું અંતર દેખાશે. આ અંતર કાચની જાડાઈના કારણે હોય છે. જો ટુ વે મિરર હોય તો?જો તે ટુ-વે મિરર હશે, તો તમારી આંગળીની ટોચ સીધી પ્રતિકૃતિની ટોચને સ્પર્શશે કોઈ અંતર નહીં. કારણ કે આ પ્રકારના કાચમાં રિફ્લેક્ટિવ સપાટી આગળની તરફ હોય છે. આ નાનકડી પણ મહત્ત્વની જાગૃતતાથી ગ્રાહકો સેકન્ડોમાં રેગ્યુલર મિરર અને ટુ-વે મિરર વચ્ચેનો ભેદ પારખી શકે છે. એક નાનકડા પ્રયોગથી પ્રાઈવસની ભંગ થતા અટકાવી શકાશેપાલ પોલીસ દ્વારા મોલ્સ અને શોરૂમ્સમાં ચેન્જિંગ રૂમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઘણીવાર સ્પાય કેમેરા કે મિરરવાળા સ્થળોને ઓળખવામાં ગ્રાહકો નિષ્ફળ જતા હોય છે, જેના પરિણામે તેમની ખાનગી પળો રેકોર્ડ થઈ જાય છે. પોલીસે માત્ર જાગૃતિના અર્થે ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધા છે. આ કાર્યવાહી દ્વારા પોલીસનો લક્ષ્યાંક ગ્રાહકોને જાગૃત કરીને તેઓ પોતે જ આવા જોખમોને ઓળખી શકે અને તુરંત પોલીસનું ધ્યાન દોરી શકે તેવો છે. ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતા પહેલા 'ધ ફિંગર ટેસ્ટ' કરવા અપીલઆ પહેલ બાદ હવે ગ્રાહકોની પણ જવાબદારી બને છે કે તેઓ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતા પહેલા આ 'ધ ફિંગર ટેસ્ટ' દ્વારા મિરરની ચકાસણી કરે. પાલ પોલીસની આ સજાગ કાર્યવાહી સુરતના નાગરિકોને તેમની પ્રાઇવસીની સુરક્ષા માટે એક સક્રિય ભાગીદાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. જો તમને કોઈ જગ્યાએ શંકાસ્પદ મિરર કે કેમેરા જણાય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સુરક્ષા કર્મીનો સંપર્ક કરવો હિતાવહ છે. મિરર પર આંગળી મૂકતા જગ્યા ન રહે તો સમજી લો કે તે ટુ વે મિરર છે- શીતલ શાહઅત્યારે મોલ્સ અને હોટલમાં ચેન્જિંગ રૂમમાં મિરર લાગેલા હોય છે. મહિલાઓ એક જ સેકન્ડમાં જાણી શકે કે મિરર ઓકે છે કે નહીં તે બાબતે અમે જાગૃતિ લાવી રહ્યા છીએ.મોલમાં જ્યારે મિરર લગાવ્યો હોય તેના પર આંગળી મૂકો અને મિરર વચ્ચે ગેપ આવે તો માની લો કે તે રેગ્યુલર મિરર છે. જો આંગળી મુકતા જગ્યા ન રહે તો તે ટુ વે મિરર છે. જો ટુ વે મિરર હોય તો પાછળથી કોઈ વ્યકિત તમને જોઈ રહ્યું હોય અથવા ફોટો વીડિયો બનાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:00 am

'ભીખ માગજે પણ ભણવાનું પૂરું કરજે....':'અમેરિકામાં ભટકતો હતો ને અચાનક જ સ્વામીનારાયણ ભગવાન મદદે આવ્યા', પટેલ યુવકની 500 ડૉલરથી 12 મિલિયન ડૉલર સુધીની સફર

જીવનમાં સફળતા ને નિષ્ફળતાનું ચક્ર ફરતું રહે છે. નિષ્ફળતાથી માણસ હતાશા થઈને ભાંગી પડે તો જીવનમાં ક્યારેય સફળતાનો આસ્વાદ માણી શકે નહીં. સફળતા માટે આકરી મહેનત કરવી જરૂરી છે. અમેરિકામાં માત્ર સત્તર વર્ષની ઉંમરે ગયેલા શ્યામલ પટેલ સાથે અમેરિકામાં બબ્બે વાર ફ્રોડ થયો. એક સમયે ભણવાનું છોડીને નોકરીએ લાગી જવાની ઈચ્છા પણ થઈ આવી. પિતા સાથે ભારતમાં સ્કેમ થયો ને કેવી રીતે શ્યામલ પટેલે નવ સુધી અભ્યાસ કર્યો અને કેવી રીતે આજે પોતાની ફાર્મસી કંપની ઊભી કરી? ‘ગ્લોબલ ગુજરાતી’ના આજના એપિસોડમાં વાત કરીશું શ્યામલ પટેલની.અમેરિકામાં ગુજરાતીઓને કેવા કેવા ફ્રોડથી ફસાવવામાં આવી રહ્યા છે? શ્યામલ પટેલ પોતે અમેરિકામાં બબ્બેવાર સ્કેમનો ભોગ બન્યા..શ્યામલ પટેલે કેવી રીતે પોતાની કંપની ઊભી કરી? શ્યામલ પટેલ અમેરિકા ગયા બાદ કેમ 17 વર્ષ બાદ ભારત આવી શક્યા? ગુજરાતીઓને કેવી રીતે મદદ કરે છે? 'સીધી ચાલતી જિંદગીમાં અચાનક જ કેન્સરને કારણે યુ ટર્ન આવ્યો'અમદાવાદમાં જન્મેલા શ્યામલ પટેલના પપ્પા લેન્ડ ટ્રેડિંગનું કામ કરે છે ને માતા હોમ મેકર છે. નાનો ભાઈ રિયલ એસ્ટેટનું કામ કરે છે. પપ્પાની વાત કરતા શ્યામલ પટેલ જણાવે છે, 'પપ્પાએ ભાવનગરથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને તેમની પાસે પાસે વિદેશ જવાની તક હતી, પરંતુ દાદા-દાદીની ઈચ્છાને કારણે તેઓ ના ગયા. એન્જિનિયર હોવા છતાં તેમણે પાર્ટનરશિપમાં સોના-ચાંદીનો બિઝેસ શરૂ કર્યો. જોકે, કરમની કઠણાઈ એવી આવી કે પપ્પા 33-34 વર્ષના હતા ત્યારે તેમને અચાનક જ થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું. ત્યારે મારો નાનો ભાઈ બે વર્ષનો અને હું અગિયારેક વર્ષનો હતો. જ્યારે ઓપરેશન કર્યું ત્યારે એમ હતું કે ગળામાં એક જ ગાંઠ છે, પરંતુ સર્જરી દરમિયાન ખ્યાલ આવ્યો કે દસ જેટલી ગાંઠો છે. સર્જરીની વચ્ચે જ મમ્મીને બોલાવીને અલગ-અલગ ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવી કે ગેરંટી નહીં કે આ સર્જરી દરમિયાન પપ્પા બચી જ જાય અને તેમને કંઈ થાય તો જવાબદારી ડૉક્ટર્સની રહેશે નહીં. મમ્મી ડરી ગયાં પણ ભગવાનની દયાથી સર્જરી સફળ રહી. અલબત્ત, છ મહિના માટે પપ્પાનો અવાજ જતો રહ્યો. બિઝનેસ જેના ભરોસે મૂક્યો હતો તેણે ધ્યાન આપ્યું નહીં અને ચોરી થવા લાગતાં અંતે બિઝનેસ વેચી નાખ્યો. પછી પપ્પાએ નક્કી કર્યું કે હવે બાળકોના એજ્યુકેશન પર ફોકસ કરીએ અને બીજું કંઈ કરવું નથી. બિઝનેસ વેચ્યા બાદ જે પણ પૈસા આવ્યા તે બંને બાળકોના અભ્યાસ માટે મૂકી રાખ્યા.' 'બચત પૂરી થતાં મિત્રો-સંબંધીઓ પાસેથી ઉધાર લેવા પડ્યા'પપ્પાની તબિયતના તે દિવસોને યાદ કરીને શ્યામલ પટેલ જણાવે છે, 'શરૂઆતમાં દર મહિને અને પછી દર છ મહિને મુંબઈની ટાટા હૉસ્પિટલમાં જવું પડતું. આ દરમિયાન બેવાર કેન્સરે ઊથલો માર્યો એટલે ફરી સારવાર ને કીમોથેરપી ને બધું કરવું પડ્યું. હું 12 ધોરણ ભણ્યો ત્યાં સુધી પપ્પાની તબિયત નરમ-ગરમ જ રહેતી. પપ્પાને એવું હતું કે જે પૈસા બચાવીને રાખ્યા છે, તેનાથી કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ જશે, પરંતુ તે શક્ય બન્યું નહીં. બધી જ બચત પૂરી થઈ ગઈ. પપ્પાએ મિત્રો ને સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લીધા. મારું નક્કી હતું કે મારે ભણી ગણીને આગળ વધવું છે. મને ખ્યાલ હતો કે મારે પરિવારને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો છે.' 'હું બસમાં ટ્રાવેલ કરતો ને ક્લાસમેટ્સ સ્કૂલબસમાં જતાં'શ્યામલ પટેલ પપ્પાની બીમારીને કારણે ઘરની આર્થિક સ્થિતિમાં કેવી રીતે ગુજરાન કર્યું તે અંગે કહે છે, 'ધોરણ 10-11-12નો સમય અલગ જ હતો. અમારી વખતે ટ્યૂશન સિસ્ટમ હતી પણ અમારે એવું નહોતું. સાથે ભણતા વિદ્યાર્થીઓ ટૂ વ્હીલર પર આવે, પરંતુ હું સાયકલ પર જાઉં. હંમેશાં આ અંગે ફરિયાદ કરતો. મારા સહ વિદ્યાર્થીઓ સ્કૂલબસમાં જાય ને હું AMTS બસમાં જાઉં. નાનપણમાં જ્યારે પણ કોઈ વસ્તુની ડિમાન્ડ કરીએ તો પૂરી ન થાય.ઘણીવાર એવું થતું કે વ્યાજે પૈસા લાવ્યા હોય અને વ્યાજ ભર્યું ના હોય તો ઘરે ઉઘરાણી કરવા આવતા. તે સમયે તો એમ જ વિચારતા કે પપ્પાનો તો સ્વભાવ જ ગરમ છે એટલે તે આમ બોલે છે.' 'અમેરિકા જવાનું નક્કી હતું''દસમું ધોરણ પાસ કર્યા બાદ નક્કી હતું કે આગળ વધવું છે તો વિદેશ જવું જ પડશે. તે સમયે અમેરિકા સિવાય એકેય દેશ મગજમાં નહોતો. આસપાસમાં જ્યારે પણ અમેરિકાથી આવેલા ગુજરાતીઓને જોતો તો તેમની બોલવાની, કપડાંની સ્ટાઇલ બધું અલગ લાગતું. ત્યારથી જ નક્કી હતું કે હું જઈશ તો અમેરિકા જ. બાર સાયન્સમાં આવ્યો ત્યારે પપ્પા સાથે નક્કી કર્યું કે 75%થી વધુ આવે તો ભારતમાં અને ઓછા આવે તો વિદેશ જઈશ. મારે 74% આવ્યા એટલે અમેરિકા જવાનું નક્કી થઈ ગયું.' 'એજન્ટે ફ્રોડ કર્યો'શ્યામલ પટેલ જણાવે છે, 'હું સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયો. કોલેજમાં એડમિશન દરમિયાન મારી સાથે સ્કેમ થયું. 2007માં અમારા પરિવારમાં અમેરિકા જઈને ભણનારો હું પહેલો હતો. એરપોર્ટ પર મને 350 લોકો મૂકવા આવ્યા હતા. હું માંડ 17 વર્ષનો હતો ને મારે ફાર્મસીનું ભણવું હતું. હું બાર ધોરણ સુધી અંગ્રેજી મીડિયમમાં ભણ્યો, પરંતુ બોલવામાં મને ડર લાગતો.મેં એજન્ટના કોઈ ડોક્યુમેન્ટ યોગ્ય રીતે જોયા નહોતા. એરપોર્ટ પર અમેરિકા જવાના ઉત્સાહમાં હું એજન્ટને એ પણ પૂછવાનું ભૂલી ગયો કે મને એરપોર્ટ પર લેવા કોણ આવશે? ફ્લાઇટમાં બેઠાં પછી 27 કલાક સુધી સતત રડતો રહ્યો કે ત્યાં હું ક્યાં જઈશ ને શું થશે મારું?કોને મળવાનું છે એ પણ ખ્યાલ નહોતો. ન્યૂ જર્સી એરપોર્ટ પર લેન્ડ થયો અને બે કલાક આમતેમ ભટક્યો. બધા પેસેન્જર જતા રહ્યા પછી એક ભાઈ શ્યામલ ક્યા છે? એમ કહીને શોધતા આવ્યા. તે ભાઈએ મળીને તરત જ મને બરાબરનો ખખડાવી નાખતા હું પાછો રડવા લાગ્યો. પછી તેઓ મને ઘરે લઈ ગયા. ત્યાં 24 વિદ્યાર્થીઓ રહેતા. ચાર બેડરૂમ એટલે એક રૂમમાં 6 વિદ્યાર્થીઓ રહે. અમને કહેવામાં આવ્યું કે 12 છોકરા ડે શિફ્ટમાં ને 12 છોકરા નાઇટ શિફ્ટમાં હશે. સવારે છ વાગ્યે ઊઠી જવાનું. મને આ સાંભળીને આંચકો લાગ્યો કે હું ક્યાં હતો ને નસીબે મને કેવી જગ્યાએ લાવીને ઊભો કરી દીધો. પછી એડમિશનની વાત આવી તો મને કહેવામાં આવ્યું કે હાલમાં આઇટીમાં એડમિશન મળ્યું છે, પછી ફાર્મસીમાં મળી જશે. ઘરથી એક બ્રીજ ક્રોસ કરો એટલે કોલેજ. જ્યારે વાસ્તવમાં કોલેજ વર્જિનિયામાં હતી અને હું ન્યૂ જર્સીમાં હતો ને ત્યાંથી કોલેજ સાત કલાક દૂર હતી. તે ઘરમાં મારો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો. મારે ત્રણ વર્ષ સુધી આઇટીનું ભણવું પડ્યું. પેરેન્ટ્સને કહી ના શકાય કે મારી સાથે શું થયું છે, હું તો એમ જ કહેતો કે ભણવાનું સારું ચાલે છે. વર્જિનિયામાં હું જે કોલેજમાં જતો તે ગેરકાયદેસર હતી અને હવે તો તે બંધ પણ થઈ ગઈ છે. મને આજેય યાદ છે જ્યારે અમદાવાદથી અમેરિકા આવવા નીકળ્યો ત્યારે મારા ખિસ્સામાં હાથમાં 500 ડૉલર હતા ને ફી ભર્યાની 3750 ડૉલરની રસીદ લઈને ગયો હતો.' 'સવારે ત્રણ વાગ્યે ઊઠીને કોલેજ જતો''તે કોલેજમાં અઠવાડિયામાં માત્ર એક જ દિવસ જવાનું. ન્યૂ જર્સીમાં આવ્યા બાદ થોડા દિવસમાં જ નોકરી શરૂ કરી. હું જ્યાં રહેતો ત્યાંથી 3 માઇલ દૂર એટલે કે 5 કિમી દૂર એક પાકિસ્તાની હોટલમાં નોકરી મળી. પહેલા દિવસે હું સ્વામીનારાયણ હોવાથી નાડાછડી ને તિલકને બધું કઢાવી નાખ્યું. મને વાસણો ધોવાની નોકરી મળી. કલાકના સાડા ચાર ડૉલર મળતા. તે સમયે કલાકના 6-7 ડૉલર ચાલતા. મેં ત્રણ વર્ષ સુધી અલગ-અલગ હોટલમાં જ કામ કરતો. રોજ 10 કિમી ચાલીને જતો. ગુજરાન ચલાવવા રોજ નોકરીએ જવું પડતું. હોટેલમાં બપોરે બે કલાક બ્રેક હોય એટલે રેસ્ટોરાંમાં બપોરે એક થી ત્રણ ખાસ લોકો આવે નહીં એટલે આ દરમિયાન બ્રેક હોય. આ બે કલાકની સેલરી મળે નહીં. હું ત્યાં જ બેસીને ભણતો ને રાતના 12 વાગ્યે ઘરે જતો. એ રીતે રોજના 14-14 કલાક કામ કરતો. તે સમયે મને દિવસ ક્યારે ઊગે છે ને આથમે છે તે પણ ખ્યાલ રહેતો નહોતો.' 'બે વર્ષે પાસપોર્ટ પાછો મળ્યો'શ્યામલ પટેલ કહે છે, 'અમે જ્યાં રહેતા ત્યાં રોજ સવારે એક છોકરી આવીને રોટલી બનાવી જાય. અમારે જાતે દાળ કે શાક એ બધું બનાવવાનું. મહિને અમારે 500 ડૉલર આપવા પડતા અને અમે એક જ ટાઇમ જમતાં. આ દરમિયાન મને ખ્યાલ આવી ગયો કે પાસપોર્ટ ઘરમાં કઈ જગ્યાએ છે અને તક મળતા જ તે લઈ લીધો અને અડધી રાત્રે ઘર ખાલી કરી નાખ્યું. અમે ત્રણ લોકો ત્યાંથી ભાગી ગયા અને ન્યૂ જર્સીમાં બીજે રહ્યા. વર્જિનિયા સ્થિત કોલેજ જવા સવારના ત્રણ વાગ્યે ઊઠીને બે બસ, બે ટ્રેન બદલીને કોલેજ જતો. એક થી સાત કોલેજમાં ભણતો અને બીજા દિવસે સવારે છ વાગ્યે ન્યૂ જર્સી આવતો. ત્રણ વર્ષ આઇટીનું ભણ્યા બાદ મને ખ્યાલ આવ્યો કે કમ્યુનિટી કોલેજમાં પ્રી-ફાર્મસીમાં એડમિશન લેવાથી ચાર વર્ષ ફાર્મસીનું ભણવું પડશે. તો એ રીતે પ્રી ફાર્મસી કર્યું. પ્રી ફાર્મસીના છેલ્લા છ મહિના બાકી હતા ત્યારે હોટલના માલિકે ગેસ સ્ટેશનમાં કામ કરવાની ઑફર આપી અને સાંજથી સવારના છ સુધી કામ હોવાનું મને પણ ગમ્યું. આ દરમિયાન ઘણા ગુજરાતીઓને મળ્યો. પછી ફાર્મસીમાં એડમિશન લેવા માટે અરજી કરી અને ન્યૂ જર્સીમાંથી માા સહિત માત્ર ત્રણ લોકોને જ બોસ્ટનની મેસેચ્યુસેટ્સ કોલેજ ઓફ ફાર્મસીમાં એડમિશન મળ્યું. આ કોલેજ અમેરિકાની સૌથી જૂની ફાર્મસીની કોલેજ છે. એડમિશન તો મળી ગયું, પરંતુ હવે ફી ભરવી કેમની એ સૌથી મહત્ત્વની વાત હતી. ઘરમાં વાત ફી ભરવાની વાત કરી.' 'પપ્પાને સુસાઇડના વિચારો આવી ગયા''પપ્પાએ અમારા એજ્યુકેશન માટે થોડો જમીનનો ટુકડો સાચવીને રાખ્યો હતો અને વિચાર્યું હતું કે જ્યારે જરૂર પડશે ત્યારે વેચશે. ફી ભરવા માટે 3 લાખ ડૉલરની જરૂર હતી. પપ્પાએ જમીન વેચવાનું નક્કી કર્યું પણ આ દરમિયાન કેટલાક લોકોએ પપ્પાની સાઇન કેટલાક ડોક્યુમેન્ટ પર કરાવી ને વીક પછી પેપરમાં જાહેરાત આવી કે આ જમીન વેચાઈ ગઈ છે. પપ્પા એકદમ ડરી ગયા અને તેમણે મને તરત જ ફોન કર્યો. તેમણે ધ્રુજતા અવાજે ફ્રોડની વાત કરી. તેઓ છેલ્લે એમ બોલ્યા કે તું હવે મમ્મી ને ભાઈનું ધ્યાન રાખજે. મને લાગ્યું કે સ્થિતિ ઘણી જ ગંભીર છે તો તેમને સાંત્વના આપવા મેં કહી દીધું કે તમે ચિંતા ના કરો ફીની વ્યવસ્થા થઈ ગઈ છે. બીજા દિવસે ફરી વાર ફોન આવ્યો ત્યારે પપ્પા એકદમ હળવાફુલ હતા. તેમણે સ્વીકાર્યું કે તેમના મનમાં તે સમયે કંઈક અલગ જ વિચારો ચાલતા હતા.' 'હવે ફી ભરવી કેમની તે મોટો પ્રશ્ન હતો. આ દરમિયાન મારી ફિયોન્સી પણ માસ્ટર કરવા અમેરિકા આવી ગઈ હતી. અમેરિકામાં લોન લેવી હોય તો કો-સાઇનરની જરૂર પડે. હવે ફાર્મસીના ચાર વર્ષ એટલે આઠ સેમિસ્ટર માટે મારે લોન લેવાની હતી. શરૂઆતના દિવસોમાં હું ને મારી ફિયોન્સી રોજ લિસ્ટ લઈને ફોન કરવાનું વિચારીએ. પૈસા માગવા ઘણા જ મુશ્કેલ છે, એમાંય એજ્યુકેશન લોન માટે તો એ ભરપાઈ થશે કે નહીં તેની ગેરંટી હોતી નથી. 50ની યાદીમાંથી છેલ્લે 10 શોર્ટલિસ્ટ કર્યા. ફોન કરીએ ને સામે હેલ્લો બોલે એટલે કાપી નાખીએ. પછી એક દિવસ હિંમત કરીને એકને ફોન કર્યો ને કો-સાઇન કરવાની વાત કરી. તેમણે ના પાડી. પછી બીજો ફોન કર્યો ને હા પાડી દીધી. આ રીતે પહેલું સેમિસ્ટર નીકળી ગયું.' 'ફ્રોડે મારો પીછો ના છોડ્યો'શ્યામલ પટેલ હસતાં હસતાં કહે છે, 'તમને નવાઈ લાગશે પણ બોસ્ટનમાં પણ મારી સાથે ફ્રોડ થયો. 2012માં ન્યૂ જર્સીથી બોસ્ટન શિફ્ટ થવાનું હતું ત્યારે મારી પાસે માત્ર 1000 ડૉલર હતા. ઓનલાઇન મેં બોસ્ટનમાં ઘર જોયું અને એ 800 ડૉલર ભાડું ભર્યું. ખિસ્સામાં 200 ડૉલર લઈને બોસ્ટન ગયો. જે એડ્રેસ પર ગયો ત્યાં રહેતી વ્યક્તિએ કહ્યું કે તે જગ્યાએ કોઈ વિદ્યાર્થીઓ રહેતા જ નથી. એજન્ટ ફોન ઉપાડે નહીં. મને તો ખબર જ ના પડે કે આ અજાણી જગ્યાએ હવે શું કરીશ? મને તો જાત પર ગુસ્સો આવ્યો કે મેં ભૂલ શું કરી. હું ન્યૂ જર્સીથી બે દિવસથી ભૂખ્યો તરસ્યો હતો. ડુંગળી-લસણ ખાતો નથી. બેગ લઈને ફરતો હતો ત્યારે કેફેટ એરિયામાં બ્રેડ બટર ખાતો હતો. જમતાં જમતાં અચાનક વૉમિટ થઈ ને અકળામણ ને ગુસ્સામાં ભગવાનને એવું કહેવાયું કે ભગવાન તારે જો મને સેટ જ નહોતો કરવો તો બોસ્ટન શું કરવા લાવ્યા, ન્યૂ જર્સી મારા માટે શું ખોટું હતું? આ રીતે હેરાન જ કરવો હતો તો કેમ મને બોલાવ્યો? ને હું રડવા લાગ્યો.' 'ભગવાને અચાનક જ મદદ કરી''એ જ સેકન્ડ મારા ગુરુ નિત્યાસ્વરૂપ સ્વામીનું મૌન ચાલતું હતું. તેમણે એક ચિઠ્ઠી લખીને મોકલાવી કે 'શ્યામલને કહેજો કે ચિંતા કરે નહીં, ભગવાન તારી જોડે છે.' પંદરેક મિનિટથી હું ઉદાસ ચહેરે બેઠો હતો ત્યાં અચાનક પતિતપાવન સ્વામીનો ફોન આવ્યો કે શ્યામલ શું કરે છે? ગુરુશ્રીએ ચિઠ્ઠી લખીને મોકલી છે કે ચિંતા કરતો નહીં, ભગવાન આપણી સાથે છે. એ શબ્દો સાંભળીને મારામાં હિંમત આવી ને હું બેગો લઈને ઘર શોધવા નીકળી પડ્યો. હું બેગ લઈને બહાર નીકળ્યો ને એક વિદ્યાર્થીએ પાછળથી બૂમ પાડી, 'એ ભૂદેવ કઈ બાજુ....' મારા માથામાં શિખા છે એટલે તે વિદ્યાર્થીએ મને ભૂદેવ કહ્યો હતો. હું ફર્યો એટલે માથામાં તિલક જોયું તો તેણે કહ્યું કે તમે સ્વામિનારાયણ છો અને મારા પપ્પા પણ આ જ સંપ્રદાયમાં માને છે. મારું નામ જય બ્રહ્મભટ્ટ છે. તેણે પૂછ્યું કે તમે શું કરો છો તો જવાબમાં મેં કહ્યું કે ઘર શોધી રહ્યો છું તો તે મને ઘરે લઈ ગયો, તે એકદમ કોલેજની સામે જ હતું. તે ઘરમાં 12 લોકો હતા અને હું તેરમો થયો. ઘરમાં એક રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. જયના રૂમમાં અમે ચાર વિદ્યાર્થીઓ થતા હતા. આ જ કારણે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ વિરોધ કર્યો પરંતુ પછી તેઓ માની ગયા. હવે મારે માત્ર 300 ડૉલર ભાડુ ભરવાનું હતું. માત્ર શિખા ને તિલક-ચાંદલો જોઈને તદ્દન અજાણી વ્યક્તિએ મને ઘરમાં આશરો આપ્યો. પછી તે જ ઘરમાં પાંચ વર્ષ પસાર કરી નાખ્યા. ફાર્મસીમાં ચાર વર્ષ કોલેજ અને એક વર્ષ રોટેશનનું હતું. કોલેજમાં આઇટીની જૉબ મળી ને વીકમાં 20 કલાક જૉબ કરતો.' 'ભીખ માગજે પણ ભણવાનું છોડતો નહીં....'શ્યામલ પટેલને પૂછવામાં આવ્યું કે આટલા સંઘર્ષોની વચ્ચે ક્યારેય એમ ના થયું કે ભણવાનું છોડી દઉં? તેમણે કહ્યું, 'એક સમયે એવું લાગ્યું કે હું જૉબ છોડીને નોકરી કરવા લાગું. પહેલું સેમિસ્ટર પૂરું થયું ને બીજા સેમિસ્ટરમાં કો-સાઇનર માટે ફોન કરવાનો થયો. આઠ ફોન કર્યા ને બધાએ ના પાડી. આ સમયે હિંમત હારી ગયો. ત્યારે મારા એક સાથી મિત્રનો 7 ઇલેવન સ્ટોર હતો. તેણે મને આ બધું છોડીને સ્ટોરમાં વર્ષે 50 હજાર ડૉલરની નોકરીની ઑફર કરી ને કહ્યું કે પછી તો બે નંબરમાં અમેરિકામાં રહી જવાનું. હું તો તરત જ તૈયાર થઈ ગયો. પછી ઘરે પપ્પાને ફોન કરીને આ વાતની જાણ કરી. પપ્પાએ ખખડાવતાં કહ્યું, 'મરી જજે પણ આ રસ્તે જતો નહીં. ગમે તે થાય પણ ભણવાનું છોડવાનું નથી. ભીખ માગવી પડે તો ભીખ માગજે પણ ભણવાનું પૂરું કરવાનું છે.' આ શબ્દો મારા મનમાં અંકિત થઈ ગયા ને નક્કી કર્યું કે ગમે તે થાય ડિગ્રી તો લેવાની જ છે. પછી આ વિચાર માંડી વાળ્યો. નવમો ફોન કર્યો એટલે તે માણસે કો- સાઇન માટે હા પાડી ને પછી તો હિંમત આવી ગઈ. હું નવ વર્ષ અમેરિકામાં ભણ્યો. ત્રણ વર્ષ આઇટી ને છ વર્ષ ફાર્મસીના. આ દરમિયાન મારી ફી પાછળ ચાર લાખ 25 હજાર ડૉલરનો ખર્ચ થયો. આઇટીના ત્રણ વર્ષના દોઢ લાખ ડૉલર તો એમ જ બગડ્યા.' 'બે મહિના જોબ ના મળી''2017માં ફાર્મસીનું ભણવાનું પૂરું થયું ને જૉબ શોધવાની શરૂ કરી, પરંતુ બે મહિના સુધી જૉબ જ મળી નહીં. પછી અચાનક યાદ આવ્યું કે કોલેજકાળમાં કીર્તિ શાહ નામના વિદ્યાર્થીએ જોબ આપવાની વાત કરી હતી. બન્યું એવું હતું કે જ્યારે કોલેજમાં હતો ત્યારે સિનિયર વિદ્યાર્થી કીર્તિ શાહે મને શનિ-રવિ જોબ શોધી આપવાનું કહ્યું. હું ત્યારે કોલેજમાં આઇટી મેનેજર હતો તો મેં તેને શનિ-રવિમાં મારા કલાકો ઘટાડીને તને જોબ આપી. ત્યારે મેં હસતા હસતા એવું કહ્યું હતું કે હું જોબ આપીશ તો તું શું આપીશ? ત્યારે કીર્તિ શાહે મને ફાર્મસીમાં જોબ અપાવવાની વાત કરી હતી. મેં તરત જ સો.મીડિયામાં કીર્તિ શાહને શોધ્યો ને ફોન કરીને વાત કરી. તેણે તાત્કાલિક પેન્સિલવેનિયાના પ્રજ્ઞેશ પટેલને ફોન કર્યો. બીજા દિવસે ઇન્ટરવ્યૂ ને સાત દિવસમાં મને જોબ મળી ગઈ. હું બોસ્ટનથી પેન્સિલવેનિયા શિફ્ટ થયો. તેમની પાસે ત્રણ ફાર્મસી હતી અને તેમાંથી એક નવી જ શરૂ કરી હતી. આ નવી દુકાનમાં મને રાખ્યો. મારો એક કલાકનો પગાર 50 ડૉલર હતો એ હિસાબે એક લાખ આઠ હજાર ડૉલર વાર્ષિક પગાર હતો. મેં એક વર્ષ ત્યાં કામ કર્યું. પછી તેમણે નવી દુકાન વર્જિનિયામાં શરૂ કરી તો ત્યાં વર્કિંગ પાર્ટનર બનાવ્યો ને ત્યારે સવા લાખથી દોઢ લાખ તથા બોનસ મળતું.' 'પગાર વધારે છતાં બચત તો હજાર રૂપિયા જ થતી'વાતને આગળ વધારતા શ્યામલ પટેલ કહે છે, '2017-2019 સુધી મેં જૉબ જ કરી હતી. લોનનો હપ્તો મહિને સાડા ચાર હજાર ડૉલર હતો ને પગાર 8 હજાર ડૉલર હતો પણ ટેક્સ કપાઈને સાડા પાંચ હજાર આવે. બચત તો હજાર ડૉલર જ થતી. તો હજાર ડૉલરમાં એક એક ડૉલર ગણતરીથી વાપરવો પડે. આ જ કારણે સાડા ત્રણ ડૉલરનું દૂધ 15 દિવસ ચાલે ને બાકીના 15 દિવસ પાણીથી ચલાવતા. લોનના હપ્તા ચાલુ થયા એટલે ખ્યાલ આવ્યો કે પહેલાં 15 વર્ષ તો વ્યાજમાં જાય ને પછીના 10 વર્ષ મૂડી કપાય આ સમયે લાગ્યું કે જોબમાં તો લોન ચૂકતે કરવામાં વર્ષો થઈ જશે. આ સમયે લાગ્યું કે હવે પોતાનો ધંધો કરવો પડશે. સાચું કહું તો, જ્યારે અમેરિકા ગયો ત્યારે જ પપ્પાએ કહ્યું હતું કે જવું હોય તો ત્યાં ધંધો જ કરવાનો. પટેલોના લોહીમાં નોકરી કરવાનું લખ્યું જ નથી. જ્યાં પણ જઈએ ત્યાં ધંધો જ કરવાનો. બીજાને એવું લાગે કે આ નોકરી કરે છે, પરંતુ પટેલો તો કંઈક ને કંઈક શીખતા જ હોય છે. એ ક્યારેય સ્ટ્રગલિંગ પીરિયડમાં હોતા નથી ને તક મળે એટલે પોતાનો બિઝનેસ શરૂ કરે.' 'પહેલું ગેસ સ્ટેશન ખરીદ્યું''2019માં કોવિડ આવ્યો. આ સમયે ઘણા બિઝનેસ ડાઉન થયા. ગેસ સ્ટેશન વેચાવા લાગ્યા હતા. વર્જિનિયામાં મારી ફાર્મસીની નજીક ગેસ સ્ટેશન 60 હજાર ડૉલરમાં વેચાવાનું હતું તો મેં એ ખરીદી લીધું. મારા વાઇફ આઇટીની જોબ કરતા તો તેમને જોબ છોડવાનું કહ્યું. નાનો ભાઈ ભણવા માટે અમેરિકાથી આવ્યો હતો તો તેને ગેસ સ્ટેશનમાં ધ્યાન આપવાનું કહ્યું. હું ફાર્મસીમાં કામ કરતો. પછી ફાર્મસીમાં હેમ્પની દવાઓ માર્કેટમાં આવી. આ દવાઓ ડિપ્રેશન, ઊંઘની તકલીફ તથા ઘૂંટણમાં દુખાવામાં લેવામાં આવતી. આ દવા મોંઘી બહુ જ હતી. આ દવા જાતે બનાવવી હોય તો શું કરવું તે વિચાર્યું ને પછી. ગેસ સ્ટેશનનું સેવિંગ ભેગું કરતો ગયો. પછી હેમ્પ માટે મેન્યુફેક્ચર શોધ્યો ને મારી રીતે વેચવાની શરૂ કરી. પછી જૉબ છોડી દીધી. એક દવાથી શરૂ કરેલી કંપનીમાં આજે 350 પ્રોડ્ક્ટ્સ બનાવું છું, જેમાં 70% દવાઓ તથા 30% હેમ્પમાંથી કપડાં બનાવવામાં આવે છે. મારી પ્રોડક્ટ આખા અમેરિકામાં વેચાય છે. હાલમાં મહિને એક મિલિયન ડૉલર જેટલું ટર્ન ઓવર છે.' 'પાંચ વર્ષના વિઝા હતા, 17 વર્ષ સુધી ભારત આવી શક્યો નહીં'શ્યાામલ કહે છે, 'મને પાંચ વર્ષના વિઝા મળ્યા હતા. પછી કોલેજ જેટલા સમયનો કોર્સ હોય તેટલા સમય I-20 આપે. મને 2017 સુધી I-20 મળ્યું. વિઝાની જરૂર ત્યારે પડે જ્યારે હું અમેરિકા છોડીને બીજા દેશમાં જાઉં. મારે આ જોખમ લેવું નહોતું એટલે હું ભારત આવ્યો જ નહોતો. 17 વર્ષ સુધી મા-બાપને મળ્યો નહીં. H1B વિઝા મળશે તેવી આશા હતી, પરંતુ ત્રણ વર્ષ રાહ જોયા બાદ પણ મને એ વિઝા મળ્યા નહીં. આ વિઝા ના હોય તો તમે ટ્રાવેલ કરી શકો નહીં. જૉબ કરીને સાથે સાથે નવી નવી કોલેજમાં પાર્ટ ટાઇમ કોર્સ કરીને ડે 1 CPTથી કામ ચલાવ્યું. પછી તો મેં EB 5 વિઝા લીધા.' 'ચાર ગેસ સ્ટેશન, હેમ્પ જાતે જ ઉગાડે છે'શ્યામલ પટેલ હાલમાં અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં રહે છે. તેમના વર્જિનિયામાં ત્રણ ને એક નોર્થ કેરોલિનમાં ગેસ સ્ટેશન છે. હેમ્પનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓરેગોન સ્ટેટમાં છે. શ્યામલ પટેલે લગ્નની વાત કરતા કહ્યું, 'મારા ફિયાન્સી 2013માં અમેરિકા આવ્યા. તેઓ રાહ જોતાં હતાં કે હું ઇન્ડિયા આવું ને સગાઈ કરીએ. અમે સ્કૂલમાં હતા ત્યારથી એકબીજાને પસંદ કરતા. તેમના પેરેન્ટ્સને ભણતા ત્યારે એકવાર જોયાં હતાં. અમે નક્કી કર્યું કે H1B થાય એટલે ભારતમાં લગ્ન કરીશું પણ સાત વર્ષ રાહ જોયા બાદ પણ કંઈ થયું નહીં. અંતે કંટાળીને એક દિવસ ઊઠ્યાને ખબર પડી કે આજે વસંતપંચમી છે તો કોર્ટમાં જઈને 100 ડૉલર આપીને લગ્ન કર્યા.' '15 મિનિટ સુધી અમદાવાદની હવાને શ્વાસમાં ભરી'શ્યામલ પટેલને પૂછવામાં આવ્યું કે 2024માં અમદાવાદની ધરતી પર પગ મૂક્યો ત્યારે કેવી લાગણી થઈ? તેઓ જવાબમાં કહે છે, '17 વર્ષ બાદ હું ગુજરાત આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે 15 મિનિટ શાંતિથી ઊભા રહીને ગુજરાતની હવાને માણી હતી. બહુ જ લાંબા સમય બાદ આવ્યો હોવાથી અમદાવાદ-ગુજરાત બહુ જ અલગ લાગ્યું. અમદાવાદ જોયું ત્યારે લાગ્યું કે ઘણો જ વિકાસ કર્યો છે. અમેરિકા જેવું જ મને અમદાવાદ લાગ્યું. રિવરફ્રન્ટથી લઈને બધું જ બદલાઈ ગયું. નવી ને મોટી બિલ્ડિંગ જોઈ. વિદેશમાં મળતી દરેક વસ્તુ અમદાવાદમાં મળે છે. 2024 પછી સાત વાર ઇન્ડિયા આવ્યો.' 'મારી પાસે ₹50 લાખ હોત તો હું ક્યારેય અમેરિકા ગયો જ ના હોત....'અમેરિકાના ક્રેઝ અંગે પૂછવામાં આવ્યું તો શ્યામલ પટેલ કહે છે, 'એટલું જ કહીશ કે જો તે સમયે મારી પાસે હાથ પર 50 લાખ રૂપિયા હોત તો હું ત્યારે અમેરિકા ના ગયો હોત. અત્યારે અમેરિકાની જે સ્થિતિ છે તે આગામી ત્રણ વર્ષ સુધી રહેશે. બે નંબરમાં તો ક્યારેય અમેરિકા જવું નહીં. ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીના પોઝિટિવ પરિણામ આવશે તો નવા પ્રેસિડન્ટ પણ તે ચાલુ જ રાખશે. અમેરિકામાં આવું જીવન જીવવું એના કરતાં ભારતમાં મહેનત કરીને જીવવું વધારે સારું. ઘણા ગુજરાતીઓ વ્યાજે પૈસા લઈને આવે છે. ઘણા પરિવારો તો પહોંચી પણ શકતા નથી. ઘણા પરિવારો બે-ત્રણ મહિને અમેરિકા પહોંચે છે અને પકડાય છે. લીગલી જવાનો ટ્રાય કરો ને વિદેશમાં જ બાળકને ભણાવવું હોય તો તેમને દસમા ધોરણથી જ ટ્રેઇન કરો. મોટાભાગના ગુજરાતીઓનો અમેરિકા સેટલ થવા માટે જ જવું હોય છે. અમેરિકામાં રહેતા લોકો માટે નવી નવી તકો ઊભી થશે. છોકરાઓએ અમેરિકા ભણવા જવું જ જોઈએ અને ટેલેન્ટ હશે તો નોકરી સરળતાથી મળશે. નોકરીઓની તક વધશે એટલે કોઈ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી.' 'હાલની પરિસ્થિતિ જોતાં તમામ ડોક્યુમેન્ટ્સ સાથે રાખો'તાજેતરમાં જ બનેલા એક કિસ્સાની વાત કરતા શ્યામલ પટેલ જણાવે છે, 'થોડા સમય પહેલા જ અમેરિકામાં ગુજરાતના બે ભાઈઓ એક માસ્ટર ને એક બેચરલ કરવા આવ્યા. તેમને એજન્ટે એવી કોઈ માહિતી ના આપી કે હવે ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ જોડે રાખવા. બંનેની કોલેજ વોશિગ્ટન ડીસીમાં હતી ને એજન્ટે બંનેને શિકાગોમાં લેન્ડ કરાવ્યા. ત્યાં કેમ કરાવ્યા તે બંને ભાઈઓને પણ ખ્યાલ નહોતો. ઇમિગ્રેશને પણ આ જ સવાલ કર્યો પણ જવાબ નહોતો. ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ માગ્યા તો તેમની પાસે નહોતા. પહેલા સેમિસ્ટરની ફી ભર્યાની રિસિપ્ટ પણ આપી. અંતે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે 10 વર્ષ માટે બંને ભાઈઓના વિઝા બૅન કર્યા ને તરત જ ઇન્ડિયા ડિપોર્ટ કર્યા. હું એટલી જ સલાહ આપીશ કે વિઝા લેતા સમયે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ લઈને જવામાં આવે છે તે તમામ એરપોર્ટ પર લેન્ડ થઈએ ત્યારે ફિઝિકલ કૉપી સાથે હોવા જોઈએ. જ્યાં કોલેજ હોય તે જ સ્ટેટના એરપોર્ટ પર લેન્ડ થવું તથા જ્યાં રહેવાનું છે તેની લિઝની કૉપી પણ રાખવી.' 'ગુજરાતીઓને હની ટ્રેપમાં ફસાવવામાં આવે છે'શ્યામલ પટેલ અમેરિકામાં ગુજરાતીઓને કેવા કેવા સ્કેમમાં ફસાવવામાં આવે છે તે અંગે વાત કરતા કહ્યું, 'અમેરિકામાં છોકરીઓ સો.મીડિયાના માધ્યમથી ગુજરાતી છોકરાઓનો સંપર્ક કરે છે. 4-6 વીક ચેટ થાય છે. આ ચેટમાં છોકરી ક્યાંક એવું મેન્શન કરે છે, 'મારી ઉંમર 18 વર્ષથી ઓછી છે. તને મળવામાં વાંધો નથી ને.' ફોટો એવો દેખાય કે તે મોટી છે એટલે ગુજરાતી છોકરાઓ મળવા માટે તૈયાર થઈ જાય છે અને કહે છે કે તેને આ મુદ્દે કોી વાંધો નથી. ઘણીવાર છોકરાઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં બસ કે ટ્રેનમાં મુસાફરી કરીને મળવા આવે છે. ઘણીવાર મેરિડ પણ હોય છે. જ્યારે તેઓ મળવા જાય ત્યારે ત્યાં છોકરી ને બદલે પોલીસ કેમેરા સાથે હાજર હોય છે અને ત્યાંથી તેને ઉપાડીને લઈ જાય છે. વિદ્યાર્થીઓએ આ બધી બાબતોમાં ધ્યાન આપવું નહીં. આ ઉપરાંત અમેરિકામાં રહેતા દરેક ગુજરાતીને ઝડપથી પૈસા કમાવવા છે. ડિજિટલ એરેસ્ટ કરીને પડાવેલા નાણા એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવા અમેરિકામાં ગુજરાતી પટેલના છોકરાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. પટેલને ટાર્ગેટ કરવાનું કારણ એટલં જ કે જો તે ભાગી જાય તો તેમના મૂળિયા ગુજરાતમાં છે તે બધાને ખ્યાલ હોય છે. આમાં એવું થાય કે સો.મીડિયામાં મેસેજ આવે કે રોજના 1000 ડૉલર કમાવવા છે. આ વાંચીને કોઈ ના પાડે નહીં. આખો દિવસ મજૂરી કર્યા બાદ 70-80 ડૉલર મળે ત્યાં 1000 ડૉલર બહુ વધારે કહેવાય. એટલે વિદ્યાર્થી મેસેજ કરે. પછી ફોર્મ ભરીને મોકલવાનું કહેવામાં આવે. પછી ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક થાય.ત્યારબાદ કહેવામાં આવે કે તમારા નામે ગાડી ભાડે લીધી છે. તમારે ગાડી ચલાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ પિક ને ડ્રોપ કરવાનું છે. ગુજરાતીઓને આ ઘણું જ ઇઝી લાગે છે. તે એ વિચારતા નથી કે આ પેકેટમાં શું છે. પેકેટમાં પૈસા ને ઘણીવાર ગોલ્ડ કોઇન્સ પણ હોય છે. ઉપરના લેવલ પર બેસેલા છોકરાઓ અમાઉન્ટના 10% કમિશન લે. આજના સમયમાં અમેરિકાની પોલીસ પણ સ્માર્ટ બની છે. IP એડ્રેસથી ટ્રેક કરે છે. ગુજરાતી છોકરાને ખ્યાલ નથી કે આ ટ્રેપ છે. પોલીસ પકડે છે ત્યારે ગુજરાતી મેસેજ કરનાર વ્યક્તિને ફોન કરે પણ તે તો ફોન જ બ્લોક કરી દે. પોલીસ આ ગુજરાતીને જ રંગેહાથ પકડ્યો હોવાથી જેલમાં નાખે છે અને પછી પાંચ-સાત વર્ષની જેલ થાય છે ને છેલ્લે ડિપોર્ટ થાય. ગુજરાતીઓ ક્વિક પૈસા કમાવવાની લાલચમાં ફસાવવું નહીં.' આવતીકાલે 'ગ્લોબલ ગુજરાતી'ના પાંચમા ને છેલ્લા એપિસોડમાં વાંચો, રમેશ પટેલે કેવી રીતે ઉત્તરસંડા જેવા નાનકડા ગામમાંથી નીકળીને ઓસ્ટ્રેલિયાની સફર ખેડી..

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:00 am

ક્રિસમસ: સરહદોને અતિક્રમી ગયેલો તહેવાર:ભેટ-સોગાદ, ખરીદી, પ્રવાસ જેવી પ્રવૃત્તિમાં વધારો થતો હોવાથી ઇકોનોમીની દ્રષ્ટિએ પણ મહત્વનો ઉત્સવ

કહેવાય છે કે દરેક દેશ અને સંસ્કૃતિની પરિકઓમાં સામ્યતા હોય છે અને આ સામ્યતા દરેક દેશના માનવ મનની એષણાઓ, જિજીવિષા, સપના અને સંઘર્ષ સમાન હોવાને કારણે હોય છે. મારા મતે આ જ વાત દરેક દેશમાં ઉજવાતા તહેવારોને પણ લાગુ પડે છે. જેમ કે પૂર્વના દેશોમાં ઉજવાતો વાવણી વખતનો તહેવાર ઉતરાયણ હોય કે પશ્વિમના હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ્સ, આપણા કાળી ચૌદસ, પશ્વિમના હેલોવિન અને આપણો કૃષ્ણ ભગવાનના જન્મની વધાઇ નિમિત્તે જન્માષ્ટમી અને જીસસ ક્રાઇસ્ટના જન્મની વધામણીનો તહેવાર ક્રિસમસ! તહેવારો જીવનની ઘટમાળમાંથી થોડી મુક્તિ, બદલાવ અને આનંદ માટે જરૂરી છે એ દરેક જણ જાણે છે પણ ક્રિસમસ જેવા તહેવાર ફક્ત બદલાવ નહીં પણ પશ્ચિમના દેશોના લાંબા, કાતિલ શિયાળાને સહનીય બનાવવા માટે નિમિત્ત બને છે. પશ્વિમના દેશોમાં ક્રિસમસનો અલગ ઠાઠભારતમાં પણ ખ્રિસ્તી સમુદાય મોટા પાયે વસેલો છે અને એ લોકો પણ પરંપરાગત રીતે ક્રિસમસ ઉજવે છે પણ પશ્ચિમના દેશોની ક્રિસમસનો ઠાઠ કંઇ અલગ જ હોય છે. આપણા દેશમાં નાતાલ તરીકે ઓળખાતો આ તહેવાર એ ઇસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી માટે ઉજવાય છે. જે મુખ્યત્વે 25 ડિસેમ્બરના રોજ વિશ્વભરના અબજો લોકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. યુરોપમાં 24મીએ વધુ ઉજવણી, USમાં 25મીએ રંગેચંગે ઉજવણીવિવિધ પશ્ચિમી દેશોમાં ઉજવાતા આ તહેવારમાં યુ.એસ. અને યુરોપમાં ક્રિસમસના કેન્દ્રમાં ખ્રિસ્તીઓ અને જીસસ ક્રાઇસ્ટ છે પરંતુ પરંપરાઓમાંભિન્નતા છે. યુરોપમાં ક્રિસમસની ઉજવણી ત્યાંની કાતિલ ઠંડીના કારણે, હૂંફ મળે એવી વાનગીઓ, વસ્ત્રો આધારિત હોય છે. યુરોપ આ ઉપરાંત એના નાતાલ સંબંધી વસ્તુઓના નાના નાના પણ સુંદર માર્કેટ માટે પણ જાણીતું છે અને નાતાલની પૂર્વસંધ્યાએ (24 ડિસેમ્બર) વધુ ઉજવણી કરે છે. જ્યારે યુ.એસ. ભવ્ય સજાવટ, સાન્તાક્લોઝ આધારિત પૌરાણિક કથાઓ પર ભાર મૂકે છે અને 25 ડિસેમ્બરના રોજ રંગે ચંગે ક્રિસમસ ઉજવે છે. જોકે હવે ગ્લોબલાઇઝેશન અને ઇન્ટરનેટના કારણે અલગ અલગ દેશની પરંપરા ઝડપથી બીજા દેશોમાં પ્રસરી જાય છે અને માટે જ હવે ઘણા બધા દેશોની ક્રિસમસ ઉજવણીમાં સામ્યતા જોવા મળે છે. ભગવાન ઇસુના જન્મ થવાની વધાવણી માટે ઉજવાતા આ તહેવાર અંગે અને એની ઉજવણીની તારીખ માટે અલગ અલગ દેશ અને સંસ્કૃતિઓમાં વિવિધ પૂર્વ ધારણાઓ છે. ચોથી સદીની શરૂઆતમાં ચર્ચે 25 ડિસેમ્બર, રોમન સામ્રાજ્યમાં 'વિન્ટર સોલસ્ટાઇ' (દિવસ ટૂંકો અને રાત લાંબી હોય) ની તારીખ નક્કી કરી પણ, ખ્રિસ્તીઓ માટે, માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન માણસના રૂપમાં દુનિયામાં આવ્યા તેની ઉજવણી કરવી એ ઇસુ ખ્રિસ્તની ચોક્કસ જન્મ તારીખ જાણવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. માટે જ વિવિધ દેશોમાં નાતાલ સાથે સંકળાયેલા રિવાજોમાં પ્રિ-ક્રિશ્ચિયન, ક્રિશ્ચિયન અને બિનસાંપ્રદાયિક થીમ્સ નો સમાવેશ થાય છે. પશ્ચિમી દેશોમાં આખું વરસ સૌથી લોકપ્રિય એવા આ તહેવાર ક્રિસમસ અને ક્રિસમસ વેકેશનની રાહ જોતા બાળકો અને વડીલો છ મહિના પહેલા આ તહેવારની ઉજવણીની તૈયારીઓ શરુ કરી દે છે. પોતાની અલગ પરંપરા અને દંતકથાઓપરંપરાગત ઉજવણીમાં સગા સંબંધીઓને અને મિત્રોને કઇ ભેટ આપવી; ક્રિસમસ સંગીત અને કેરોલિંગ; ક્રિસમસ ફિલ્મ જોવી; જીસસ ક્રાઇસ્ટના જન્મની ઉજવણીના નાટકો જોવા, ક્રિસમસ કાર્ડસની આપ-લે કરવી; ચર્ચ સર્વિસમાં હાજરી આપવી; ખાસ ભોજન; અને ક્રિસમસ ટ્રી, ક્રિસમસ લાઇટ્સ વગેરે શામેલ છે. વધુમાં સાન્તાક્લોઝ, ફાધર ક્રિસમસ, સેન્ટ નિકોલસ અને ક્રાઇસ્ટ કાઇન્ડ તરીકે ઓળખાતા પૌરાણિક પાત્રો નાતાલની મોસમ દરમિયાન બાળકોને ભેટો આપવા સાથે સંકળાયેલા છે અને તેમની પોતાની પરંપરાઓ અને દંતકથાઓ છે. અને હા, જર્મન ઇમિગ્રન્ટ્સ જે ક્રિસમસ ટ્રી તરીકે ઓળખાતું અતિ સુંદર વૃક્ષ અમેરિકામાં લાવ્યા એનો શણગાર કરવો એ યુરોપ અને અમેરિકા ઉપરાંત ક્રિસમસ ઉજવતા દરેક દેશમાં એક આનંદની પ્રક્રિયા છે. લાઇટિંગ જોવા પરિવાર સાથે નીકળવાનો અદભૂત આનંદસરકાર તરફથી અને ખાનગી સંસ્થાઓ તરફથી શહેરોમાં જે ક્રિસમસ ડેકોરેશન અને લાઇટિંગ થાય છે એ અભૂતપૂર્વ હોય છે. ઉપરાંત ક્રિસમસ ઉજવતો દરેક નાગરિક પોતાના નાના કે મોટા ઘરમાં, ઘર આંગણે પોતાની ક્ષમતા પ્રમાણે ઘરને શણગારીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આ બધી લાઇટિંગ જોવા પરિવાર સાથે ગરમ કપડામાં ગોઠ મોઠ થઇને નીકળવું એનો ઉત્સાહ અલગ જ હોય છે. આર્થિક પ્રભાવ વધ્યોક્રિસમસ દરમિયાન ભેટ-સોગાદ, ખરીદી, પ્રવાસ જેવી પ્રવૃત્તિમાં વધારો થતો હોવાથી, નાતાલ ઇકોનોમીની દ્રષ્ટિએ પણ એક મહત્વપૂર્ણ ઘટના બની ગઇ છે અને છૂટક વેપારીઓ અને વ્યવસાય માટે વેચાણનો મુખ્ય સમય બની ગઇ છે. છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં ક્રિસમસનો આર્થિક પ્રભાવ સતત વધતો રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં ઉજવાતી ક્રિસમસ વિશે કહેવાય છે કે નાતાલનો જાદુ શાંત છે. તમે તે સાંભળતા નથી, તમે તેને અનુભવો છો. તમે તે જાણો છો. તમે તેના પર વિશ્વાસ કરો છો... અને અત્યારે અમેરિકા ઉપરાંત બીજા દેશોનો ક્રિસમસ માટેનો ઉત્સાહ નજરે જોતા, અનુભવતા આ વાત પર વિશ્વાસ કરવાનું મન થાય છે!

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:00 am

'IPOમાં જ કમાઇ લેવાની માનસિકતા દૂર કરવી પડશે':માર્કેટ એક્સપર્ટે રોકાણકારોને ચેતવ્યા; કહ્યું, નુકસાન બૂક કરતાં પણ શીખવું જોઇએ, ઊંચું વેલ્યુએશન હોય તો ધ્યાન રાખજો

તમને IPO લાગ્યો?. …ભાઇ, લિસ્ટિંગ કેટલા પર થયું?....આ કંપની કેવી છે આનો IPO ભરાય કે નહીં?. આવી ચર્ચાઓ હવે જાણે કે સામાન્ય થઇ ગઇ છે. એક સમયે લોકો કહેતા શેર બજાર આપણી ગજાની વાત નહીં, પણ હવે તો આ સાઇડ ઇન્કમનો સોર્સ બની ગયો છે. ઘણા લોકો IPOમાં પૈસા રોકવા લાગ્યા છે અને તેને કમાણીની એક તક તરીકે જોઇ રહ્યા છે. જો કે ઘણી વખત એવું પણ બને છે કે IPOમાં રોકાણ કરીને કમાણી કરવાને બદલે રોકાણકારને નુકસાન થયું હોય. દિવ્ય ભાસ્કરે માર્કેટ એક્સપર્ટ અને ઇન્વેસ્ટર પોઇન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા સાથે વાતચીત કરીને જાણ્યું કે જે IPOમાં તમે રોકાણ કર્યું છે તે હાલ નબળું પ્રદર્શન કરી રહ્યો છો તો હવે આગળ શું કરવું?. અને સૌથી મહત્વની વાત IPOમાં રોકાણ કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ? કોરોના પછીના સમયગાળામાં IPO ભારે ચર્ચામાં રહ્યાં. ઘણી કંપનીઓના IPOએ જોરદાર સબસ્ક્રિપ્શન મેળવ્યું, ગ્રે માર્કેટમાં ઊંચું પ્રીમિયમ બોલાયું, લિસ્ટિંગના દિવસે પણ ધમાલ મચાવી હતી. આ વર્ષે અત્યારસુધીમાં અંદાજે BSE મેઇન બોર્ડ અને BSE SME સેગમેન્ટ મળીને કુલ 230 જેટલા IPO આવ્યા છે. જેના દ્વારા કંપનીઓએ 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ માર્કેટમાંથી ભેગી કરી છે પણ BSEના આંકડા મુજબ આ IPOમાંથી 69માં ઇશ્યૂ પ્રાઇસ કરતાં નુકસાન થયું છે. જ્યારે લિસ્ટિંગના દિવસે નુકસાન થયું હોય તેવા 82 IPO હતા. એક કડવી હકીકત એ પણ છે કે લિસ્ટીંગના દિવસે નફો કમાઇને નીકળી જવાની રણનીતિ ઘણીવાર રોકાણકારને મુશ્કેલીમાં મુકી દે છે કેમ કે લિસ્ટિંગના દિવસે રોકાણકારોને નફો જ મળે તેવું જરૂરી નથી હોતું. કોઇપણ કંપનીના IPOમાં રોકાણ કરતા પહેલાં કંપનીનું નામ, તેની આર્થિક સ્થિતિ, તેના સેક્ટરની સ્થિતિ, કંપનીનું વેલ્યુએશન સહિતની જરૂરી માહિતી મેળવી લેવી જોઇએ. માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા કહે છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 95 જેટલા IPOએ ભારતીય IPO માર્કેટમાં પ્રવેશ કર્યો છે. અને નજીકમાં દેખાઈ રહ્યું છે કે, ડિસેમ્બર 2025નું જે કેલેન્ડર વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ 105 થી 110 IPO ભારતીય માર્કેટમાં પ્રવેશ કરી ચૂક્યાં હશે. 'ઊંચા વેલ્યુએશન સાથે IPO આવે તો સાવચેતી રાખવી'રોકાણકારોએ IPO બાબતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે તેમણે કહ્યું, જ્યારે IPO માર્કેટ ઉન્માદમાં હોય ત્યારે ખૂબ જ સાવચેત થઈ જવાની જરૂર છે. કેમ કે જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે પ્રમોટરો ઊંચી વેલ્યુએશન પર IPO માર્કેટને લઈને આવતાં હોય છે. 'કેટલીકવાર ઘણી સારી બ્રાન્ડની સારા મેનેજમેન્ટવાળી કંપની હોય તો તેનો મતલબ એ નથી કે રોકાણકારોએ કોઈ પણ ભાવે IPOમાં રોકાણ કરવા માટે પ્રેરાવું જોઈએ. કેમ કે IPOની પ્રાઈઝ અતિ મહત્વપૂર્ણ હોય છે. ઊંચા વેલ્યુએશન પર IPO આવે ત્યારે રોકાણકારોએ ખૂબ જ સાવચેત થઈ જવું જોઈએ.' 'માત્ર ગ્રે માર્કેટ પ્રિમિયમ ધ્યાને લઇ રોકાણ ન કરો''બિઝનેસની રીતે જોવા જઈએ તો જે પ્રમોટર્સનું બેકગ્રાઉન્ડ સારું હોય, કોર્પોરેટ ગવર્નન્સનું લેવલ સારું હોય અને તેનું ભાવિ સારું હોય તેવી કંપનીઓને આઈડેન્ટિફાય કરીને રોકાણકારોએ રોકાણ કરવા માટે પ્રેરાવું જોઈએ. રોકાણકારોએ માત્રને માત્ર ગ્રે માર્કેટ પ્રિમિયમને ધ્યાનમાં લઈને રોકાણ ન કરવું જોઈએ. કેમ કે તે મિસ લિડિંગ વસ્તુ છે. તેમાં પારદર્શકતા પણ હોતી નથી.' 'જ્યારે રોકાણકારો ગ્રે માર્કેટનું પ્રિમિયમ જોઈને રોકાણ કરે છે ત્યારે કંપનીના ફંડામેન્ટલ પ્રમાણમાં સાધારણ કક્ષાના હોય છે તો ઘણીવાર રોકાણકારોને હાર્ડ મની ગુમાવવાનો વારો આવે છે. બની શકે તો રોકાણકારો જ્યારે IPOમાં રોકાણ કરે ત્યારે એવી કાળજી રાખવી જોઇએ કે કંપનીના જે બેઝિક ફન્ડામેન્ટલ મજબૂત હોવાં જોઈએ. જો કદાચ નીચા ભાવે પણ તેનું લિસ્ટિંગ થાય પણ સમય જતાં જો તે રોકાણકાર રોકાણ જાળવી રાખે તો તેને સારું વળતર પ્રાપ્ત થાય છે.' '2025માં IPOમાં મિશ્ર પ્રતિસાદ'ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના IPOના સરેરાશ લિસ્ટિંગ ગેઇન અને પોસ્ટ-લિસ્ટિંગ પ્રદર્શન અંગે વાત કરતાં તેમણે કહ્યું, ગયા વર્ષે મેઈન બોર્ડ IPOમાં રોકાણકારોને ખૂબ જ માતબર વળતર મળ્યું હતું એટલું જ નહીં ખૂબ જ સારો લિસ્ટીંગ ગેઈન પણ મળ્યો હતો. 'ઘણી કંપનીઓ તો એવી હતી કે લિસ્ટીંગ સમયે પણ રોકાણકારોએ તેમાં રોકાણ જાળવી રાખ્યું હતું. 6-7 મહિના બાદ લિસ્ટીંગ ગેઈનની આગળ ખૂબ સારો ગેઈન પણ મળ્યો. તેની તુલનામાં 2025નું કેલેન્ડર વર્ષમાં મિક્ષ પ્રતિસાદ જોવા મળ્યો છે.' 'ઘણી કંપનીઓમાં ખૂબ જ સારું વળતર મળ્યું છે. પણ કેટલીક કંપનીઓમાં ફેટિઝ લિસ્ટીંગ સાથે જોવા મળ્યું. જ્યારે કેટલીક કંપનીમાં નેગેટિવ લિસ્ટીંગ પણ જોવા મળ્યું હતું. 2024ના કેલેન્ડર વર્ષ કરતાં 2025નું વર્ષ IPOમાં રોકાણકારો માટે મિશ્ર રહ્યું હતું.' કેટલાક IPOમાં ભારે સબસ્ક્રિપ્શન આવ્યું જ્યારે કેટલાકમાં નબળો પ્રતિસાદ આવ્યો આવો તફાવત આવવાનું કારણ શું છે તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું, પહેલું તો કારણ એ જ છે કે, હાલના રોકાણકારોની માનસિકતા કંપનીના બેઝિક ફન્ડામેન્ટલ કરતા ગ્રે માર્કેટ પ્રિમિયમ પર વધારે હોય છે. 'જો ગ્રે માર્કેટ પ્રિમિયમ ક્યાંકથી ઊંચુ જોવા મળે તો ત્યાં રોકાણ કરવા માટે તેઓ પ્રેરાય છે. ગ્રે માર્કેટ પ્રિમિયમની જે પ્રક્રિયા છે તેમાં કોઈ પારદર્શકતા પણ નથી. માત્રને માત્ર ગ્રે માર્કેટના પ્રિમિયમને મગજમાં રાખીને રોકાણ કરવું તે રોકાણકારો માટે વ્યાજબી વાત નથી. IPO આવે ત્યારે કંપનીનું બિઝનેસ મોડલ, કંપનીની પારદર્શિતા, કોર્પોરેટ ગવર્નન્સનું લેવલ, બિઝનેસનું ભાવિ અને શેર હોલ્ડર સાથેનું તેમનું વલણ જોઈને જ રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ.' 'જો ક્વોલિટી કંપનીઓમાં રોકાણ કરતા રહેશો અને મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવામાં આવે તો ખૂબ જ સારી સંપત્તિનું સર્જન કરી શકે છે.' તેમણે ઉમેર્યું કે, IPO અંતર્ગત જે નવા રોકાણકારો પ્રવેશ કરે તેમને ભારતીય સ્ટોક માર્કેટ અને IPO માર્કેટની ઓછી માહિતી હોય તો તેમણે ઘણી બઘી ચોકસાઈ રાખવી જોઈએ. ભારતીય સ્ટોક માર્કેટનો એવો ઈતિહાસ છે કે શેરમાર્કેટમાં રોકાણકાર પ્રથમવાર IPOથી જ આવે છે. એટલે શેર માર્કેટમાં પ્રવેશ કરવાનું પ્રવેશ દ્વારા જ IPO માર્કેટ છે. આજે મોટા ભાગના યુવાઓ જ્યારે પ્રથમવાર શેરમાર્કેટમાં કોઈ રોકાણ કરે છે તો તે IPO માર્કેટ થકી જ કરે છે. જેમ જેમ તેમનામાં મેચ્યોરિટી આવે છે ત્યાર પછી શેરબજારમાં તે રોકાણ કરતો થાય છે. 'જ્યારે કોઈપણ યુવા રોકાણકાર પ્રથમવાર ડિમેટ એકાઉન્ટ ઓપન કરાવી IPOમાં એપ્લિકેશન કરે તો તેણે કંપની સ્પેસિફિક બેઝિક માહિતી લેવી જોઈએ. જ્યારે સારી કંપનીનો IPO આવે ત્યારે તે ઊંચા વેલ્યુએશન પર નથી આવતો ને તેની પણ કાળજી રાખવી જોઈએ.' 'કોરોના કાળ પછી ઘણાં IPOએ બજારમાં પ્રવેશ કર્યો છે. કેમ કે IPOની સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યાં છે. આજથી 10 કે 20 વર્ષ પહેલાં તમે જો કોઈ પણ IPOની એપ્લિકેશન કરો તો તેનો જે સમયગાળો તો તે ખૂબ જ વધારે હતો તેના કારણે રોકાણકારો IPOમાં રોકાણ કરી શકતાં નહોતા. પણ કોરોના પછી જે રીતે ડિજિટલ ક્રાંતિ આવી તેના કારણે તમે લાસ્ટ દિવસે એપ્લાય કરો તો 24 કલાક માટે જ તમારી મૂડી સેવિંગ અકાઉન્ટમાં રોકાય છે એટલે કે બ્લોક કરવામાં આવે છે. એટલે જે ઝડપી પ્રક્રિયા છે તેના કારણે નાનાથી મધ્યમ કક્ષાના રોકાણકારો રોકાણ કરવા માટે પ્રેરાયા છે.' 'એક ખૂબ સારી વાત ગણી શકાય કે આખી દુનિયામાં ભારતમાં જે રીતે IPOની પ્રક્રિયા થાય છે અને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થાય છે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયામાં ક્યાંય નથી. કારણ કે ભારતમાં આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ચૂકી છે અને તેના કારણે નાનાથી મધ્યમ કક્ષાના જે રોકાણકારો છે. તેમને ખૂબ સારો ફાયદો પણ મળી રહ્યો છે.' 'અલોટમેન્ટની પ્રક્રિયા ઝડપી થતાં યુવા રોકાણકારો આકર્ષાયા'તેમણે કહ્યું, જો એમાઉન્ટ વાઈઝ સબસ્ક્રિપ્શન જોઈએ તો, QIB સેગ્મેન્ટમાં સૌથી વધારે રકમ આવે છે. પણ નંબર ઓફ ઈન્વેસ્ટર્સ જોઈએ તો, IPO અંતર્ગત જે રિટેઈલ કેટેગરી છે, તેમાં રોકાણકારોની સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે છે. ત્યાર પછી સ્મોલ HNI અને HNIમાં જોવા મળે છે. એટલે આ ત્રણેય સેગ્મેન્ટમાં સૌથી વધારે રોકાણકારોની ભાગીદારી રિટેઈલમાં છે. 'છેલ્લા 10 વર્ષ પ્રમાણે જોઇએ તો અત્યારના નંબર ઓફ ઈન્વેસ્ટર્સ લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર પર છે. તેની પાછળનું મૂળભૂત કારણ છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને IPO અંતર્ગત ખૂબ સારું વળતર મળ્યું છે. આજ કારણે તેમના કોન્ફિડન્સ લેવલમાં પણ ખૂબ જ વધારો જોવા મળ્યો છે.’ ‘હાલમાં જે ડિમેટ એકાઉન્ટની પ્રક્રિયા અને એલોટમેન્ટની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે તેનો ફાયદો પણ યુવાન રોકાણકારો લઈ રહ્યાં છે. આજ કારણે IPOમાં રોકાણ કરવાવાળાની સંખ્યા ભારતીય શેર બજારની શરૂઆત થઈ ત્યાર પછીના સૌથી લાઈફટાઈમ ઉત્તમ સ્તર પર છે.’ તેમના કહેવા મુજબ, આવનારા 5 વર્ષમાં ખૂબ જ સારી બ્રાન્ડના IPO ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. આવા સંજોગોમાં રોકાણકારો માટે ફાયદાકારક રહી શકે છે. એટલું જ નહીં IPO માર્કેટમાં ગુજરાતના ઉદ્યમીઓ ખૂૂબ જ અગ્રેસર છે છેલ્લા 30 થી 40 વર્ષોમાં ગુજરાત બેઝ્ડ ઘણી કંપનીઓએ IPO માર્કેટમાં પ્રવેશ કર્યો છે અને સફળતા પૂર્વક કંપનીઓનું સંચાલન પણ કરી રહ્યાં છે. આગામી એક દશકામાં ગુજરાતની 200 કરતા વધું કંપનીઓ IPO માર્કેટમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. (અહીં રજૂ કરેલા વિચારો માર્કેટ એક્સપર્ટના પોતાના છે)

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 6:00 am

દેવાયત ખવડે હસતા હસતા સાંસદની મજા લઈ લીધી:મનસુખ વસાવાનું નામ લઈ બોલ્યા, 'રાણો રાણાની રીતે જ લાગે છે'; ગેનીબેનનો વિરોધ, હવે ભૂવા નડશે?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:55 am

ફલાઈટમા ફૂડ લીધા બાદ નીલમ કોઠારી બેહોશ થઈ ગઈ

ટોરન્ટોથી પાછા આવતાં કડવો અનુભવ અન્ય પ્રવાસીઓએ મદદ કરી પરંતુ ઇતિહાદ એરલાઈન્સના સ્ટાફે કોઈ દરકાર ન લીધી મુંબઇ - નીલમ કોઠારી ટોરન્ટોથી પાછી આવતી વખતે ફલાઈટમાં ફૂડ લીધા બાદ એકદમ બીમાર પડી ગઈ હતી અને થોડીવાર માટે બેભાન થઈ ગઈ હતી. જોકે, આમ છતાં પણ ઇતિહાસ એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ દ્વારા તેની કોઈ મદદ કરાઈ ન હતી. નીલમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મારી ફ્લાઇટ નવ કલાક મોડી હતી.

ગુજરાત સમાચાર 11 Dec 2025 5:30 am

મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની કાર્યવાહી:90 ચોમીના પ્લોટમાં માર્જીન એરિયા કવર કરી બનાવેલું 3 માળનું ગેરકાયદે બાંધકામ તોડાયું

ગાંધીનગરમાં કર્મચારીઓને રાહતદરે આપવામાં આવતા 90 ચોરસમીટરના મકાનમાં માર્જીન એરીયા કવર કરીને બાંધકામ કરવાના ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા સેક્ટર-3 ન્યૂમાં આવેલા આવા બે મકાનોમાં થયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ બંને મકાનોમાં માર્જીન એરીયા કવર કરીને ત્રણ માળ સુધીનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. સેક્ટર-3 ન્યૂમાં પ્લોટ નં. 39-2 અને 40-1 બાજુ બાજુમાં આવેલા છે. આ બંને મકાનમાં સંયુક્ત રીતે માર્જીન એરીયા કવર કરી દેવામાં આવ્યો હતો અને 3 માળનું મકાન બાંધી દેવામાં આવ્યું હતું. જીડીસીઆર પ્રમાણે ગાંધીનગરમાં સેક્ટરોમાં આપેલા 90 ચોરસમીટરના પ્લોટમાં બે સાઇડ માર્જીન એરીયા ખુલ્લો રાખવો જરૂરી છે. તેની ઉપર બાંધકામ થઇ શકતું નથી. છતાં આ બંને મકાનોમાં આ પ્રકારે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મકાન માલિકને સ્વેચ્છાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટીસ આપી હતી. પરંતુ તેમના દ્વારા જાતે દબાણ હટાવવામાં નહીં આવતાં આખરે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ શાખા દ્વારા આ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ત્રણ માળ સુધીનું ગેરકાયદે બાંધકામ જેસીબીથી તોડવું શક્ય નહીં હોવાથી મેન્યુઅલ કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આ બાંધકામ તોડતા ત્રણથી ચાર દિવસ લાગે તેવી શક્યતા છે. ઇમ્પેક્ટ ફીમાં આ જ પ્રકારના બાંધકામ નિયમિત કરાયામાર્જિન એરીયામાં બાંધકામની પરવાનગી નથી પરંતુ ગાંધીનગરમાં જગ્યાની મર્યાદાને કારણે લોકોએ મોટા પ્રમાણમાં આ પ્રકારે બાંધકામ કર્યું છે. જેને ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ નિયત ફી વસૂલીને નિયમિત કરી દેવાયા છે. જોકે, સેક્ટર-3 ન્યૂના કિસ્સામાં ઇમ્પેક્ટ ફી કાયદાની કટ ઓફ ડેટ બાદ બાંધકામ કરાયું હોવાથી તોડી પાડવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:23 am

આયોજન:ગુડા દ્વારા 17.39 કરોડના ખર્ચે 2 તળાવ ડેવલપ કરાશે

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) વિસ્તારમાં આવતાં ગામડાઓના વિકાસને લઈને ગુડા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉવારસદ અને સરઢવના તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરીને ગ્રામ્ય કક્ષાના તળાવોને પણ ગુડા આગામી દિવસોમાં વિકસાવશે. તળાવોના બ્યુટીફિકેશન ગુડા દ્વારા 17.39 કરોડ કરતાં પણ વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉવારસદના તળાવ માટે 10.6 કરોડ અને સરઢવમાં 7.32 કરોડ ખર્ચે કામગીરી હાથ ધરાશે. ગુડા દ્વારા અમલી કરાયેલ ગ્રામ વિકાસ સદ્દભાવના યોજના અંતર્ગત ઉવારસદ અને સરઢવ ગામના હયાત તળાવને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે.કુલ 17.39 કરોડથી વધુના ખર્ચને તંત્ર દ્વારા મંજુર કરાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારના ટુરિસ્ટ પોઈન્ટ વિકસાવવાને કારણે તેની આસપાસના અન્ય ગામોના ગ્રામજનોને પણ પર્યટન સ્થળ તરીકેનો લાભ મળવાપાત્ર રહેશે. આકર્ષક થીમ મુજબ તળાવોના બ્યુટિફિકેશન કામગીરી માટે આગામી દિવસોમાં એજન્સી રોકીને કામગીરી શરૂ કરાશે. નજીકના વર્ષોમાં ગુડા અંતર્ગત આવતાં અન્ય ગામડાઓના તળાવો સહિત અન્ય માળખાગત સુવિધાઓ ઉભી કરીને બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાવાની તૈયારી ગુડા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આગામી 15 માસની સમય મર્યાદામાં કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:22 am

છેતરપિંડી:રૂપિયા 20 લાખની લોન લેવા જતાં અધિકારી સાથે 1.77 લાખની ઠગાઇ

ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ. 1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના ખોડિયાર ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર-10માં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં ફરજ બજાવતા શ્વેત પ્રવીણકુમાર પટેલને અંગત કામ અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી ગત તા. 10 જૂન 2025ના રોજ તેમણે પોતાના મોબાઈલમાં ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતું અને વેબસાઇટ પર 20 લાખની લોન માટે પોતાની અંગત વિગતો ભરીને એપ્લિકેશન કરી હતી. આ પ્રક્રિયા કર્યાના થોડા વખતમાં જ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. બાદમાં ફોન કરનારે પોતે PMEGPનો અધિકારી હોવાનું જણાવી 20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવી હતી. જે અન્વયે ઠગબાજે એપ્લિકેશન ફી પેટે 3 હજાર, ત્યારબાદ ફાઇલ ચાર્જ પેટે રૂ. 25,726 અને લોન ખાતામાં જમા થાય તે પહેલાં ત્રણ એડવાન્સ હપ્તા પેટે રૂ. 47,730 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગાઇનો ખ્યાલ આવ્યો છતાં 10 હજાર આપ્યા​કુલ રૂ. 1,67,856 ભર્યા બાદ શ્વેત પટેલને છેતરપિંડી થઇ હોવાની શંકા જતાં તેમણે લોન રદ કરવાની અને પૈસા રિફંડ કરવાની માંગણી કરી હતી. જોકે ઠગબાજે રિફંડ આપવાના બહાને વધુ એક ચાલબાજી કરીને રિફંડ ચાર્જ પેટે 10 હજાર પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:22 am

કામગીરી ખોરંભે ચઢી:મેટ્રોની કામગીરીથી ક્ષતિગ્રસ્ત થયેલા સર્કલ ડેવલપ કરવાનો મામલો બે તંત્ર વચ્ચે અટવાયો

ગાંધીનગરમાં મેટ્રો રેલનો ટ્રેક તૈયાર કરવાની કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલાં ગાંધીનગરના 7 સર્કલોના વિકાસનો મુદ્દો તંત્રોની અરસપરસ અથડામણ વચ્ચે અટકી પડ્યો છે. મેટ્રો રેલના રૂટમાં આવતા કુલ 10 પૈકી 7 સર્કલો ક્ષતિગ્રસ્ત થયા છે.અગામી ટૂંક સમયમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ સેવા શરૂ કરાશે. જેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. છતાં મેટ્રો દ્વારા સર્કલોનું સમારકામ હાથ ન ધરાયું હોવાથી કામગીરી અટકી પડી છે. અગાઉ મેટ્રો તંત્ર આ સર્કલો રીપેર કરી આપશે તેવું નક્કી થયું હતું પરંતુ તે માટેની કામગીરી થઇ નથી. મેટ્રો રૂટ પર આવેલા ચ-5, ઘ-5, ગ-5, ખ-5, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને પોલીસ ભવન નજીકના 7 સર્કલો પૈકીના સર્કલોને વિકસાવવાનો પ્રશ્ન ગૂંચવાયો છે. પાટનગર યોજના વિભાગ હેઠળ આવતાં આ સર્કલો અને મુખ્ય રસ્તાઓ મેટ્રોની કામગીરી દરમિયાન નુકસાન પામ્યા હતા, જેના સમારકામ અને વિકાસની જવાબદારી મેટ્રો વિભાગની રહે છે. ચ-2 અને 3 સર્કલ મનપાએ વિકસાવ્યુંગાંધીનગર મહાપાલિકાએ મેટ્રો રૂટ પરના ચ-2 અને 3 સર્કલોનું વિકસાવ્યાં છે. જેમાં ચ-2 પરના ન્યાય સર્કલનું લોકાર્પણ કરી દેવાયું છે. જ્યારે ચ-3 સર્કલને સુશાસન સર્કલ તરીકે વિકસાવીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સ્થાપિત કરી છે, જેનું લોકાર્પણ આગામી સમયમાં કરાશે. શહેરના ક્ષતિગ્રસ્ત થયેલા સર્કલોને વિકસાવવાની જવાબદારી વિવિધ સંસ્થાઓને સોંપાઇ છે. સર્કલ દત્તક આપાયાં પરંતુ વિકસાવી ન શકતા કામગીરી ખોરંભે ચઢીપાટનગર યોજના વિભાગે સર્કલો વિકસાવવા માટે વિવિધ સંસ્થાઓને દત્તક આપ્યા છે, મેટ્રોની કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત પામેલ સર્કલનું સમારકામ પૂર્ણ કરીને લીલી ઝંડી ન આપે ત્યાં સુધી સર્કલો વિકસાવવાની કામગીરી ખોરંભે ચઢી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:21 am

કામગીરીનું ભારે દબાણ:સાવરકુંડલાના છાપરી ગામના BLOને ચાલુ શાળાએ કામગીરી કરતી વખતે હાર્ટ એટેક

સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે બી.એલ.ઓની કામગીરી કરી રહેલા એક શિક્ષકને આજે ફોર્મની ચાલુ કામગીરી દરમિયાન શાળામાં જ હાર્ટ એટેક આવી જતા તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ હવે તેમની હાલત સ્થિર ગણાય રહી છે. રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન બીએલઓ પર કામગીરીનું ભારે દબાણ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ઠેક ઠેકાણે કામગીરીના આ ભારણના કારણે કર્મચારીઓના મોત અને હાર્ટ એટેક જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. સમયસર કામ પૂરું કરવાના દબાણના કારણે કર્મચારીઓ ભારે સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. જેની અસર તેમની તબિયત પર પડી રહી છે. સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે આજે આવું જ જોવા મળ્યું હતું. . અહીંના શિક્ષક રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે તેઓ ભારે દોડધામ કરી રહ્યા હતા. દરમિયાન ગઈકાલે શાળામાં બેસીને જ તેઓ ફોર્મ ચકાસણી અને અપલોડ કરવાનું કામ કરતા હતા એ દરમિયાન અચાનક જ બપોરના સમયે તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. શિક્ષક રાજેન્દ્રસિંહ ચૌહાણ શાળામાં જ ઢળી પડ્યા હતા. જેને પગલે સાથી શિક્ષકોએ તાબડતો 108 એમ્બ્યુલન્સ બોલાવી સૌપ્રથમ તેમને વીજપડી દવાખાને ત્યાંથી સાવરકુંડલા હોસ્પિટલે અને બાદમાં અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અમરેલી સિવિલમાંથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એન્ગ્રાજીયોફી અને એન્પ્લાજિયો પ્લાસ્ટી બાદ હવે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે. અમરેલી જિલ્લામાં અગાઉ પણ એક બીએલઓનેઆ રીતે હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે એક શિક્ષકે કામગીરીના ભરણના કારણે રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઉંમર 56 વર્ષ અને 1252 મતદારોની ચકાસણીનું કામ સોપવામાં આવ્યુંહાર્ટ એટેકનો ભોગ બનેલા શિક્ષકની ઉંમર 56 વર્ષની છે અને તેમને 1252 મતદારોની ચકાસણીનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ છેલ્લા દસ વર્ષથી આ કામ કરી રહ્યા છે. છતાં આ વખતે પણ તેમને મુક્તિ આપવાના બદલે આ કામગીરી સોંપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:18 am

લોકોમાં ફફડાટ:ધારીના વિરપુર પંથકમાં વહેલી સવારે 5:50 વાગ્યે 2.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમરેલી પથકમાં ભૂતળમાં હલચલ વધી રહી હોવાના સંકેત મળતા હોય તેમ દસ દિવસ પહેલા ભૂકંપનો એક હળવો આંચકો અનુભવાયા બાદ આજે વહેલી સવારે ધારી તાલુકાના વિરપુર તથા આસપાસના ગીરકાંઠામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગે આ વિસ્તારમાં 2.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. વીરપુર પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અમરેલી આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર હળવા આંચકા આવી રહ્યા છે. સૌથી વધુ ભૂકંપના આંચકા સાવરકુંડલા તાલુકાના મિતિયાળા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા અઢીથી ત્રણ વર્ષ દરમિયાન જોવા મળ્યા છે. દરમિયાન છેલ્લા દસ દિવસ દરમિયાન પણ ફરી ભૂતળમાં ગતિવિધિ સક્રિય થઈ હોય તેવા સંકેત મળી રહ્યા છે. આજે વહેલી સવારે 5:50 કલાકે ધારી તાલુકાના વિરપુર તથા આસપાસના ગીર પંથકમાં ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકાના કારણે થોડી વાર માટે લોકોમા ગભરાટ ફેલાઈ ગયો હતો. આ અંગે ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગના સૂત્રોએ 2.4ની તીવ્રતાનો ભૂકંપ હોવાની પુષ્ટિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બીજી ડિસેમ્બરના રોજ પણ અમરેલી જિલ્લામાં 1.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે અમરેલીથી 38 કિ.મી દૂર સાઉથવેસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ જોવા મળ્યું હતું. જ્યારે આજે વહેલી સવારે અમરેલીથી 44 કિ.મી સાઉથ સાઉથમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સવારે દિવસ ઉગે તે પહેલા જ ધરતીમાં કંપન અનુભવાતા લોકો ફફડાટના માર્યા ઘર બહાર દોડ્યા હતા. જો કે ભૂકંપની આ અસર બહુ લાંબા વિસ્તાર સુધી જોવા ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:15 am

કામગીરી:સાવરકુંડલા ટાઉન પોલીસે યુવકનો 3.50 લાખનો સોનાનો ચેઇન તથા પેન્ડલ શોધી પરત કરી દીધા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે અરજદારનો ખોવાયેલ રૂપિયા 3.50 લાખનો ત્રણ તોલા સોનાનો ચેઇન અને પેન્ડલને સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી શોધી કાઢીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના શાંતિનગર જાબાળ ગામના અને હાલ સુરત રહેતા જયસુખભાઈ મનુભાઇ ભાલાળાનો સોનાનો ચેઇન તથા પેન્ડલ ખોવાયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ જીજ્ઞેશભાઇ અમરેલીયા, હેડ કોન્સટેબલ નાગભાઈ કીકર, પોલીસ કોન્સટેબલ જયપાલસિંહ ગોહિલ, ભરતભાઇ શીરોલીયા દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ સોના અંગે અરજી અન્વયે કાર્યવાહી કરી અરજદારોના સોનાનો ચેઇન તથા પેન્ડલ સી.સી.ટી.વી ફુટેજ આધારે શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 5:14 am

અમાલ મલિકને કોર્ટમાં ઘસડી જવા સચેત-પરંપરાની ચિમકી

બેખ્યાલી ગીત પર દાવો કરતાં નારાજ થયાં આ ગીત બનતું હતું ત્યારથી અમાલ મલિકને તે વિશે જાણ હોવાનો સિંગર કપલનો દાવો મુંબઇ - અમાલ મલિકે ફિલ્મ 'કબીર સિંહ'નું ગીત 'બેખ્યાલી..' પોતાનું ગીત હોવાનો દાવો કર્યો હતો જેને ગાયક જોડી સચેત અને પરંપરાએ સોશયલ મીડિયા પર પડકારીને અમાલ મલિક માફી નહીં માંગે તો કોર્ટમાં ખેંચી જવાની ધમકી પણ આપી છે.

ગુજરાત સમાચાર 11 Dec 2025 5:00 am

ઇન્સ્પેક્શન:વુડાસર્કલ પાસે અકસ્માતો થતાં હવે સંયુક્ત ઇન્સ્પેક્શન કરાશે

મંગળવારે સાંજે કારેલીબાગના વૃદ્ધ દંપતી પૈકીના વૃદ્ધાનું બસની ટક્કરે મોત થયા બાદ પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતના કારણો અને રસ્તા પર કોઇ એન્જિનિયરિંગ કે ટ્રાફિકને લગતા ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તે વિશે આગામી સમયમાં આરટીઓ, પોલીસ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું સંયુક્ત ઇન્સ્પેકશન થશે. આ વિશે હરણી પોલીસ મથકના પીઆઇ એસ.વી.વસાવાએ જણાવ્યું કે, આગામી સમયમાં સંયુક્ત ઇન્સ્પેકશન કરવામાં આવનાર છે. જેમાં વિવિધ તંત્રો દ્વારા આ સ્થળનું નિરિક્ષણ પણ કરવામાં આવનાર છે અને કોઇ પણ પ્રકારના ફેરફારની જરૂર જણાશે તો તે પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્કલ પાસે લેન બદલવાના સાઇન બોર્ડ મૂકાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. કારણ કે, વીઆઇપી રોડથી ફતેગંજ તરફ જવાના રસ્તે સર્કલ ઉપર કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા તરફ જતા વાહનો સમયસર લેન ન બદલતાં હોવાથી અા સ્થળ ઉપર અકસ્માતની શક્યતા વધુ સર્જાતી હોય છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:38 am

ભાસ્કર એક્સક્લુસિવ:ખેતપેદાશોના વેચાણમાંથી વચેટિયાઓ હટે, ખેડૂતોને સીધો લાભ થાય તેવું મોડલ બનાવ્યું

એમ.એસ.યુનિવર્સિટી કો-ઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રૂરલ સ્ટડીસે મિશન સહકારથી વેપાર પર રિસર્ચ કર્યું છે. જેમાં ખેતપેદાશો વેચવા માટે વચેટિયાઓ દૂર થાય અને ખેડૂતોને લાભ મળે તેના માટે મોડલ તૈયાર કર્યું છે. ત્રણ મંત્રાલયના માધ્યમથી ખેડૂતો પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કો-ઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રૂરલ સ્ટડી વિભાગના અધ્યાપકોની ટીમ શ્વેતા ઓઝા, હેમાંગી રાઠોડ તથા ડો. ભૂમિત શાહે સંયુક્ત રિસેર્ચ પેપર રજૂ કર્યું હતું. સહકારી માર્કેટિંગને સ્થાનિકથી વૈશ્વિક સ્તર તરફ વિકાસનો પ્રયાણ મિશન સહકારથી વેપાર આપતું રિસેર્ચ પેપર રજૂ કર્યું હતું. અધ્યાપકોએ જણાવ્યું હતું કે, દેશમાં સહકારી માર્કેટિંગની પરિસ્થિતિ તથા ખેડૂતોના ઉત્પાદનને વહેંચવા માટે ઉપલબ્ધ બજારને લગતી સહકારી વ્યવસ્થાઓનો સમગ્ર ઉલ્લેખ આ રિસેર્ચ પેપરમાં કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ પેપરમાં સહકારી માર્કેટિંગ તેમજ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય એવા સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. ત્રણ મંત્રાલયની સંયુક્ત કામગીરી હેઠળ રિસર્ચ મોડલ પ્રસ્તુત કરાયુંઆ ઉપરાંત આ રિસેર્ચ પેપર માં વાણિજય તથા ઉદ્યોગ મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા સૌથી અગત્ય સહકાર મંત્રાલયના સંયુક્ત કામગીરી હેઠળ રિસર્ચ મોડલ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ સંશોધન પેપરમાં સહકારી માર્કેટિંગ સંસ્થાથી મળતા ફાયદાઓ જેવા કે વ્યાજબી કિંમત પ્રાપ્તિ, સીધો બજાર પ્રવેશ, ટકાઉ વિકાસ, નિકાસ ઉત્પાદનો અને સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા માટે શિક્ષણ અને તાલીમની સેવાઓ પૂરી પાડવા જેવા પરિબળને આવરી લેવામાં આવ્યા હતા. ખેડૂતો વિદેશમાં પણ વેચાણ કરી શકે છે / ઇ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતો તેમની પ્રોડકટ સીધી વિદેશમાં પણ વેચાણ કરી શકે છે અંતરાયણ વિસ્તારના ખેડૂતો માટે આ સુવિધાનો ઉપયોગ વધારવા માટે મોડલના આધારે માહિતી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:34 am

આગની ઘટના:કારેલીબાગના વડીલવિહારમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી, 30 વડીલોનો આબાદ બચાવ

કારલીબાગના ચેશાયર હોમ-વડીલવિહાર ખાતે સાંજે શોર્ટ સર્કિટના પગલે આગ ભભૂકી ઊઠી હતી. આ આગ લાગી ત્યારે વડીલ વિહારની બેઠક પૂરી થવાની તૈયારીમાં હતી અને 30 જેટલા વડીલો હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમે આવીને આગ બુઝાવી હતી. આ આગ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે લાગી હતી. કોઇએ ફાયરબ્રિગેડને ફોન કરતાં ફાયરબ્રિગેડે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ નજરે નિહાળનાર સ્થાનિકે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટથી આગ લાગતા ફટાકડા ફૂટતાં હોય તેવો અવાજ ફેલાયો હતો. જોકે તમામ વડીલો બહાર નીકળી ગયા હતા. સંસ્થાના પદાધિકારી દિનેશ શાહે જણાવ્યું કે, આગ લાગી ત્યારે વડીલો 100 ફૂટ દૂર હતા એટલે નીકળી ગયા હતા. આ સંસ્થાઓ 60 વર્ષ કરતા વધુ સમયથી છે. ફાયર એક્સટિંગ્વિશર્સ હાથવગુ ન હોવાથી અને આગ વધુ હોવાથી કોઇએ નજીક જવાની હિંમત કરી ન હતી. ઇલેક્ટ્રિક આગમાં લોટનો છંટકાવ ઉપયોગી થઇ શકેઆગની શક્યતાને ધ્યાનમાં રાખીને ઘરમાં પણ ફાયર એક્સ્ટિંગ્વીશર્સની વ્યવસ્થા રાખવી જોઇએ. આ ઉપરાંત સીઓટુ ગેસ અને ડ્રાય કેમિકલ પાઉડર પણ વિકલ્પો છે. ઇલેક્ટ્રિક આગના ટાણે જો એમસીબી સ્વિચ ન હોય તો લોટનો પણ છંટકાવ કરીને પણ આગને બુઝાવી શકાય.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:31 am

ભાસ્કર ઈનસાઈડ:SBIના નિવૃત કર્મીને સોશિયલ મીડિયા થકી હનીટ્રેપમાં ફસાવ્યાં

સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડ લિસ્ટ મોકલ્યા બાદ હનીટ્રેપમાં ફસાવીને પોલીસની ઓળખ આપનાર ટોળકીએ ડ્રગના ગુનામાં સંડોવવાની ધમકી આપીને રૂા.7 લાખ પડાવી લેનાર આરોપી પિન્કી પટેલ સહિત 4 વિરુદ્ધ શિનોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. હરણી રોડ પર રહેતા 68 વર્ષિય હિંમતભાઈ (નામ બદલ્યું છે) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી નિવૃત થયેલા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે પિન્કી પટેલ નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. પિન્કી પટેલે વૃદ્ધને દુમાડ ચોકડી બોલાવ્યાં હતાં. એક સફેદ કલરની કાર તેઓની પાસે આવી ઊભી રહી, ચાર ઈસમો ઉતર્યાં અને તેઓએ વૃદ્ધને પોતે હિંમતનગરના પોલીસ હોવાનું જણાવ્યું હતું. તમારી સાથે બેઠેલી છોકરી ઉપર ડ્રગ્સના પાંચ કેસ નોંધાયેલા છે. પોતાની આબરુ બચાવવા વૃદ્ધ દ્વારા રૂા.7 લાખ બેંક ખાતામાંથી ઉપાડીને આ લોકોને આપતાં ગાડી લઈને તેઓ ભાગી ગયા હતા.તપાસ પીએસઆઇ એમ.એસ. જાડેજા કરી રહ્યા છે આરોપી હાર્દિક શેઠ (રહે-અમદાવાદ)ને ઝડપી પાડયો છે. વૃદ્ધે ઘરે પુત્ર અને પત્નીને અકસ્માતમાં વ્યક્તિ મરી ગયો હોવાથી રૂપિયા આપવા પડશે તેમ કહ્યુંવૃદ્ધે પોતાના ઘરે પોતાની પત્ની તથા પુત્ર તથા પુત્રવધૂને આ રૂપિયા 7 લાખ બાબતે ખોટું જણાવ્યું હતું કે, માલસરથી આવતા એક ફોરવ્હીલ ગાડીવાળાએ કહ્યું હતું કે, તમે અકસ્માત કરીને આવેલા છો અને તે વ્યક્તિ મરી ગઈ છે, રૂપિયા 7 લાખ આપવા પડશે. અને મેં આબરુ ના જાય તે માટે આ રૂપિયા આપ્યા છે. પરંતુ પાછળથી વૃદ્ધે સ્પષ્ટ જણાવ્યું કે, હકીકતમાં આ રૂપિયા મેં સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ બનાવી તેના ફ્રોડમાં ફસાઈને આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:31 am

અધિકારી પર હુમલો:મહિલાઓ અને સ્થાનિકોએ પાણીની લાઇન બદલતાં અધિકારીની ટી-શર્ટ ફાડી નખ માર્યાં

સયાજીગંજ રસુલજીની ચાલમાં જૂની પાણીની પાઇપલાઇન કાઢી નવી લાઇન નાખવાની કામગીરી દરમિયાન 30થી 35 મહિલાઓ અને સ્થાનિકોએ પાલિકાના અધિક મદદનીશ ઈજનેરને ઘેરીને માર માર્યો હતો. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ભાયલી ગેલેક્ષી બંગ્લોમાં રહેતા અજયકુમાર ડોડિયા પાલિકાના વોર્ડનં-8માં અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. મંગળવારે અજય ડોડિયા ટીમ સાથે રસુલજીની ચાલમાં પાઇપલાઇન બદલવાનું કામ કરતા હતા. ત્યારે બે જણા ત્યાં આવી તમે અમારી પાણીની જૂની લાઇન કેમ કાઢો છો? તેમ કહી ઝઘડો કરી અજય કુમારને માર પણ માર્યો હતો. તે વખતે મહિલાઓ પણ આવી ઝઘડો કર્યો હતો. ત્યાં હાજર મનોજ રમેશ પરમાર અને રીતેષ રમેશ પરમાર (બંને રહે, રસુલજીની ચાલ, સયાજીગંજ) તથા 4 મહિલા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. 18 સ્થળે ગેરકાયદે જોડાણ પકડાયા બાદ માર માર્યોવિસ્તાર લો પ્રેશર ઝોન હતો. ત્યાં ગંદા પાણીની ફરિયાદ ઉઠી હતી. જેથી નવી પાઇપલાઇન નાખવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. અમે વેરા બિલ તપાસ કરતા હતા. 18 લોકેશન પર ગેરકાયદે જોડાણ મળ્યા હતા. રસુલજીની ચાલમાં 15-17 મકાન તપાસ કરવા જવાના હતા. ત્યારે બની શકે કે, તેમના ગેરકાયદે જોડાણની તપાસ ન થાય તે માટે માર માર્યો હોય. મને 30થી 35 મહિલાઓ તથા સ્થાનિકોએ માર માર્યો હતો. ટી-શર્ટ ફાડી નાખી નખ પણ માર્યાં હતા. } (અજયકુમાર ડોડિયા સાથે થયેલી વાતચીત મુજબ) 10 દિવસમાં બે વખત પાલિકાએ ટેન્કર મોકલ્યા હતાટીમે 60થી વધુ મકાનની તપાસ કરી હતી. કેટલાકમાં તો 90-95 હજારનો વેરો બાકી હોવાનું સામે આવ્યું હતું. મારામારી થતાં હાલ કામગીરી મુલતવી રખાઈ છે. ઘણીવાર પાઇપ મારફતે પાણી પહોંચ્યું નહોતું. પાલિકા દ્વારા પાણીના ટેન્કર મોકલાયા હતા. 10 દિવસમાં 2 વાર ટેન્કર મોકલાયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:29 am

મતદાર યાદી:આજે SIRનો છેલ્લો દિવસ, 16મી બાદ બીએલઓ ડોક્યુમેન્ટ લેવા ઘરે પહોંચશે

એસઆઈઆરની કામગીરીનો આજે છેલ્લો દિવસ છે. ગુરૂવારે મતદાર યાદીની ખાસ ઝુંબેશ હેઠળ ફોર્મ જમા કરાવી શકાશે. 10 ડિસેમ્બર સુધીમાં 5.09 લાખ ફોર્મનું મેપિંગ થયું ન હતું, બીજા તબક્કામાં 16 ડિસેમ્બર બાદ જેનું મેપિંગ ન થયું હોય તેવા મતદારોને નોટીસ અપાશે. બીએલઓ જે તે મતદારોના ઘરે જઈ ગણતરી ફોર્મના ડોક્યુમેન્ટ લઇ મેપીંગ કરશે. 7 ડિસેમ્બરે 10 વિધાનસભા વિસ્તારમાં કેમ્પ યોજાયો હતો. જેમાં મતદારો માટે તમામ કામગીરી કરવામાં આવી હતી. 10 ડિસેમ્બર સુધી કુલ 21.76 લાખ ફોર્મનું ડિજિટલાઇઝેશન થયું છે. 5.09 લાખ ફોર્મનું મેપીંગ બાકી છે. 19.07 ટકા ફોર્મ હજુ પરત આવ્યાં નથી. જેમણે ડોક્યુમેન્ટ આપ્યા હોય, મેપિંગ ન થયું હોય તેને નોટિસ નહીં અપાય16 ડિસેમ્બર બાદ ડોક્યુમેન્ટ ન આપ્યા હોય તેમને બીએલઓ નોટીસ આપી ડોક્યુમેન્ટ મેળવશે. ડોક્યુમેન્ટ આપ્યા હોય અને મેપિંગ ન થયું હોય તેમને નોટીસ નહીં મળે. > ડો.અનિલ ધામેલિયા, કલેક્ટર

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:27 am

સિટી એન્કર:સાયબર ઠગાઈ રોકી લોકોને રિફંડ અપાવવા 45 બેંકકર્મીને પોલીસની તાકીદ, સમયે માહિતી આપો તો રૂપિયા પાછા મળે

સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. ત્યારે ભોગ બનનારના રૂપિયા રિફંડ અપાવી શકાય તેમજ પોલીસ ઝડપી કાર્યવાહી કરી શકે તેને લઈ 45થી વધુ બેંકકર્મી સાથે પોલીસ અધિકારીઓની સંકલન મિટિંગનું આયોજન પોલીસ ભવન ખાતે મંગળવારે કરાયું હતું. જેમાં પોલીસે સાયબર ક્રાઈમ ગુનાની તપાસમાં બેંકમાંથી સરળતાથી માહિતી મળે અને નાગરીકોને ઝડપથી ન્યાય મળે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું કે, ‘બેંક પાસેથી જ્યારે પણ શંકાસ્પદ ખાતાની માહિતી માગવામાં આવે ત્યારે સમયસર આપવી જોઈએ. જેથી ભોગ બનનારના નાણાં પરત અપાવી શકાય તેમજ આરોપી સુધી પહોંચી શકાય. આરોપીઓ જે મ્યુલ એકાઉન્ટ (ઠગાઇ કરવા કોઈ વ્યક્તિના નામે ખાતુ ખોલવું) ખોલે છે તેને રોકવા ખાતા ધારકનું વેરિફિકેશન કરવામાં આરબીઆઈની ગાઇડલાઇનનું પાલન કરે. રિફંડ માટે કોર્ટ ઓર્ડરને અગ્રિમતા આપે.’ ઉલ્લેખનીય છે કે, પોલીસે 2025 દરમિયાન 30.33 કરોડ રૂપિયા કોર્ટ ઓર્ડર થકી પીડિતોને રિફંડ કરાવ્યા હતા. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કહ્યું કે, સાયબર ક્રાઈમના બનાવમાં બેંક કર્મીનો સાથ અને સહકાર મળે તે માટે બેઠક કરાઈ હતી. વર્ષમાં પોલીસે 10 હજારથી વધુ બેંક ખાતા ફ્રિઝ કરાવ્યાપીડિત સાયબર હેલ્પલાઇન 1930નો સંપર્ક કરે ત્યારે જ બેંક ખાતા ફ્રિઝ થઇ જાય છે. ત્યારબાદ પોલીસ તપાસ કરે છે. બેંક પાસેથી માહિતી મેળવી બેંક ખાતાની ચેઇન મળતાં તેમને ફ્રિઝ કરે છે. વડોદરામાં પોલીસે 10 હજારથી વધુ બેંક ખાતા ફ્રિઝ કરાવ્યા હોવાનું સુત્રોએ કહ્યું હતું. હેલ્પલાઇનને કોલ કરતાં જ તમામ ખાતા બંધ કરે છેસાયબર ક્રાઈમનો ભોગ બનતા જ તાત્કાલિક 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરો. ટુંક સમયમાં જ સેન્ટર દ્વારા જે ખાતામાં ઠગાઈના રૂપિયા ટ્રાન્સફર થયા હશે તેને ફ્રિઝ કરી દેવાશે. સાથે જ એક ખાતામાંથી બીજા, ત્રીજા જેટલા પણ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હશે તે જાણી ખાતા ફ્રિઝ કરી દેવાય છે. તે ફ્રિઝ થયેલા રૂપિયાને પરત મેળવવામાં આવે છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનતા તાત્કાલિક જ હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:24 am

નિર્ણય:પાલિકાના 6500 કર્મચારીઓ માટે રુ 2.89 કરોડના યુનિફોર્મ ખરીદાશે

પાલિકાના વર્ગ 1થી 4ના 6500 કર્મી માટે યુનિફોર્મ ફરજિયાત બનાવાયો છે. રૂ.2.89 કરોડના ખર્ચે 6500 કર્મચારીને બે વર્ષના ત્રણ જોડી યુનિફોર્મનું કાપડ અપાશે. જેના પર સ્થાયી સમિતિ નિર્ણય લેશે. અમદાવાદની જેમ વડોદરા પાલિકાએ પણ નિર્ણય લીધો છે. વર્ગ 1, 2 અને 3ના કર્મીને સફેદ શર્ટ પીસ અને વાદળી કે કાળા પેન્ટ પીસ અપાશે. મહિલા કર્મી વર્ગ 1-2 માટે વાદળી સાડી અથવા ડ્રેસ (દુપટ્ટા સાથે) અને વર્ગ 3ના મહિલા કર્મચારીઓ માટે ગુલાબી સાડી કે ડ્રેસ મટીરીયલ હશે. વર્ગ 4ના પુરુષો માટે ખાખી, સફેદ કે વાદળી વન પીસ અને વર્ગ 4ની મહિલાઓને બદામી, કાળા રંગની સાડી અપાશે. જેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે. મહિલાઓના યુનિફોર્મનો ભાવ 1080, પુરુષોનો રૂ.1532 મગાયોપુરુષના યુનિફોર્મમાં પેન્ટના કાપડનો ભાવ પ્રતિ 1.30 મીટર માટે રૂ.324 તથા શર્ટના કાપડનો ભાવ 2.50 મીટર માટે રૂ. 445.50 ગણવામાં આવ્યો છે. જ્યારે મહિલાઓ માટે સાડી અથવા ડ્રેસ મટીરીયલ માટે રૂ.1080નો ભાવ મુકાયો છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:22 am

કાર્યવાહી:ગોરવામાં 100 ઝૂંપડાનું દબાણ હટાવાયું, મહિલાઓનો જેસીબી સામે સૂઇ વિરોધ

શહેરના ગોરવા દશામાં મંદિરથી નજીક આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ઊભા કરાયેલા 300થી વધુ ઝંપડાઓના દબાણોને હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. કામગીરી વેળા સ્થાનિક મહિલાઓએ જેસીબીની આગળ આવી જઈ વિરોધ કરતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં વર્ષોથી ઝૂંપડાના દબાણો ઊભા કરાયા હતા. જે દબાણો હટાવવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા પાસે મશીનરી માંગી હતી. બુધવારે સવારે હાઉસિંગ બોર્ડની ટીમ સાથે દબાણ શાખાએ 300થી વધુ ઉપડાવો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પાલિકાનું જેસીબી ચાલતા જ ઝૂંપડાવાસીઓએ વિરોધ કર્યો હતો અને પહેલા આવાસો આપવામાં આવે તેવી માંગ કરી હતી. મહિલાઓએ બાળકો સાથે જેસીબીની આગળ આવી જઈ કામગીરી રોકાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર ગોરવા પોલીસે મહિલાઓને હટાવી કામગીરી શરૂ કરાવી હતી. દબાણ શાખાએ 100થી વધુ ઝૂંપડાઓને હટાવ્યા હતા. બાકીના ઝૂંપડાને ગુરુવારે તોડવામાં આવશે તેવી જાણકારી મળી છે. દબાણ હટાવતા જોઈ દંપતીએ પોતાના જ ઝૂંપડાને આગ ચાંપી, ફાયર બ્રિગેડે બુઝાવીપાલિકાની દબાણ શાખાએ દબાણ તોડવાની કાર્યવાહી કરતા જ લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. દરમિયાન ઝૂંપડા તૂટતા જોઈ ઉશ્કેરાયેલા દંપતીએ પોતાના જ ઝૂંપડામાં આગ ચાપી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી આગ કાબૂ મેળવાયો હતો. બીજી તરફ દંપતી ફરીથી આ પ્રકારનું કૃત્ય ન કરે તે માટે પોલીસે દરમિયાનગીરી કરી હતી. પાલિકાની દબાણ શાખા ન પહોંચતાં હાઉસિંગ બોર્ડની ટીમને રાહ જોવી પડીગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર આવાસો બાંધવામાં આવશે અને નજીકની બીજી જગ્યામાં પણ પાણીની ટાંકી સહિતની કામગીરી કરાશે. જેના પગલે દબાણો હટાવવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જોકે દબાણ શાખાની ટીમ સમયસર નહીં પહોંચતા હાઉસિંગ બોર્ડની ટીમે રાહ જોવી પડી હતી. સયાજીગંજના ધારાસભ્યને આ બાબતની જાણ થતા તેઓએ મ્યુનિ.કમિશનરને ફોન કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી આ સ્થળોએ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ ફરિયાદ આસપાસની સોસાયટીના રહીશોએ કરી હતી. જેને ધ્યાનમાં રાખી દબાણો હટાવવાનો નિર્ણય લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:19 am

ગફલત:મંત્રી ન હોવાથી પીએમ આવાસનો ડ્રો મુલતવી કર્યો, લાભાર્થી પહોંચ્યા તો સ્કૂલનો કાર્યક્રમ જોઈને ચોંક્યા

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાયલી-સેવાસી, અટલાદરા, કલાલીના આવાસોનો ડ્રોનું આયોજન સર સયાજીરાવ નગરગૃહમાં કરાયું હતું. જો કે સવારે લાભાર્થીઓ પહોંચતા જ ખાનગી શાળાનો વાર્ષિક કાર્યક્રમ જોઈ ચોંક્યા હતા. મંત્રી શહેરમાં ન હોવાથી ડ્રો મુલતવી કરાયો હતો. જેથી લાભાર્થીઓએ પરેશાની ભોગવવી પડી હતી. ડ્રો ગુરુવારે આજવા રોડ ખાતે હોવાનું જણાતાં લોકોમાં નારાજગી ફેલાઈ હતી. અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસનો ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા અંદાજિત 3000 લાભાર્થીઓને કાર્યક્રમમાં આવવા માટે મેસેજ કરાયો હતો. જોકે આ કાર્યક્રમ માટે મંત્રી મનિષાબેન વકીલ શહેરમાં હાજર ન હોવાથી કાર્યક્રમ મુલતવી રાખી ગુરુવારે આજવા રોડ પંડિત દિન દયાલ ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી. જોકે લાભાર્થીઓને મળેલા મેસેજને પગલે સવારે 200થી વધુ લાભાર્થીઓના ટોળા સયાજીરાવ નગરગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં નગરગૃહ ખાતે ખાનગી સ્કૂલનો કાર્યક્રમ જોઈ લાભાર્થીઓ ચોકી ઉઠ્યા હતા. સિક્યુરિટી જવાનોને પૂછતા તેઓએ કાર્યક્રમ ગુરૂવારે આજવા રોડ હોવાનું જાણવા મળ્યું હતું. અમે લોકોને મેસેજ કર્યા છતાં લોકો આવ્યાઆવાસોનો ડ્રો કાર્યક્રમ મુલતવી થવા અંગે અમે 3 હજાર લાભાર્થીઓને મેસેજ કર્યા હતા. છતાં તે લોકો આવ્યા હતા. > વસંત સિંઘલ, કા.ઈ, એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ કાર્યક્રમ કેમ રદ થયો તેની અમને જાણ નથીબુધવારે કાર્યક્રમ મુલતવી કરાયો છે તેની અમને જાણકારી અપાઈ હતી. કાર્યક્રમ કેમ રદ થયો તેની અમને જાણકારી નથી. > જીગ્નેશ ગોહિલ, હેડ, પીઆરઓ હોલ ઉપલબ્ધ નથી તેવી જાણકારી આપી હતીબુધવારે ખાનગી શાળાનો કાર્યક્રમ હોવાથી નગરગૃહ રિઝર્વ હતું. મંગળવારે સાંજે ડ્રોની જાણકારી મળતા વિભાગનું ધ્યાન દોર્યું હતું. > અંકુશ ગરુડ, ટુરિસ્ટ વિભાગ અહીં આવ્યા તો ડ્રો ન હતો, ખાનગી શાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતોઆજે ડ્રો હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ અહીં આવીને જોતા સ્કૂલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ડ્રો મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. > સંજય ઠાકોર, રહીશ, જંબુસર સિક્યુરિટી ગાર્ડે કહ્યું, આજે કાર્યક્રમ કેન્સલ છે, અમે કલાકો સુધી અટવાયાઅમે ગોત્રી રહીએ છીએ. પાલિકાનો મેસેજ મળતાં આવ્યા હતા. ગાર્ડે કહ્યું કે અહીંયાનો કાર્યક્રમ કેન્સલ છે. જેથી અમે કલાકો સુધી અટવાયા હતા. > રંજનબેન પ્રજાપતિ, ગોત્રી કાર્યક્રમ મુલતવીનો નિર્ણય મંગળવારે લેવાયો, સંકલન ન થતાં લાભાર્થી અટવાયાબુધવારે કાર્યક્રમ યોજવાનો નિર્ણય સોમવારે લેવાયો, વિભાગો વચ્ચે સંકલન ન થતા લાભાર્થી અટવાયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં નિર્માણ થયેલા આવાસોના ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આધારભૂત સૂત્ર મુજબ સોમવારે આવાસોના ડ્રોનો કાર્યક્રમ બુધવારે સયાજીરાવ નગરગૃહ ખાતે રાખવાનું નક્કી કરાયું હતું. જે અંગે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અને પી.આર.ઓ વિભાગને જાણકારી હતી, પરંતુ આ કાર્યક્રમ સંદર્ભે ટુરિસ્ટ વિભાગ સાથે કોઈ સંકલન કરાયું ન હતું. મંગળવારે સાંજે ટુરિસ્ટ વિભાગના અધિકારીઓને આ અંગે જાણકારી થતા તેઓએ સંબંધિત વિભાગો સાથે બુધવારે નગરગૃહ ખાલી ન હોવાની સ્પષ્ટતા કરી હતી. જેથી એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અને પીઆરઓ વિભાગ અટવાયા હતા. બીજી તરફ શહેરમાં મંત્રી પણ હાજર ન હોવાથી આ કાર્યક્રમ આજવા રોડના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે રાખવાનું નક્કી કરાયું હતું. પરંતુ એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે અંદાજિત 3 હજાર લાભાર્થીઓને મેસેજથી જાણ કર્યા બાદ ફરીથી કાર્યક્રમની તારીખ અને સ્થળ બદલાયો હોવાનો મેસેજ કર્યો હતો. જોકે મેસેજ મળે ત્યાં સુધી તો સયાજીરાવ નગરગૃહ ખાતે લાભાર્થીઓ પહોંચી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:17 am

લાઈટ કનેક્શન કાપી નખાતા આશ્ચર્ય:સાધલી પીએચસીનું વીજ જોડાણ કાપવા વીજ કર્મી આવતા કર્મચારીઓમાં આશ્ચર્ય

શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લાઈટ બિલ છેલ્લા પાંચ માસથી ભરવામાં આવેલ નહોતું, જેથી લાઈટ કનેક્શન કાપવાનો વારો આવતા પી.એચ.સી.દ્વારા બીલ ભરવામાં આવ્યું હતું. શિનોર તાલુકાના સાધલી મુકામે જિલ્લા પંચાયત વડોદરાના તાબાનું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. હાલમાં બે મેડિકલ ઓફિસર, એક એમ.બી.બી.એસ. અને એક આયુષ ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે. પરંતુ વહીવટમાં ગમે તે કારણોસર વિલંબ થતાં વિજ કંપનીનું લાઈટ બિલ અંદાજે રૂપિયા 25000 ઉપરાંત છેલ્લા પાંચ મહિનાથી બાકી હોવાથી વીજ કર્મચારી દ્વારા લાઈટનું કનેક્શન કાપવા જતાં દવાખાનામાં સોંપો પડી ગયો હતો. કર્મચારી પાસે મુદત માગવામાં આવી હતી. સરકારી દવાખાનું હોવાના કારણે કર્મચારીએ સમય આપ્યો. પરંતુ સાંજ પડી ગઈ હોય બિલ ભરાયું નહોતું. પરંતુ આ લખાય છે ત્યારે ઓનલાઇન લાઈટ બિલ ભરાયું હોવાની જાણ થયેલ છે. જો લાઈટ કનેક્શન કપાયું હોત તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આબરૂની લીલામી થાત, સોલાર પેનલ હોવા છતાં પણ જિલ્લા પંચાયતના સત્તાધીશો તથા અધિકારીઓ પાંચ માસ માસ સુધી રૂપિયા 25000 ઉપરાંતનું બિલ કેમ ન ભરાયું, તેની તપાસ કરશે ખરા?

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:08 am

ભાસ્કર ઈનસાઈડ:છોટાઉદેપુરના મંગળબજારમાં રોડ પરના દબાણો સ્વૈચ્છિક દૂર કરાયાં

છોટાઉદેપુર નગરમાં હાલ દબાણો હટાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે નગરમાં આવેલ મંગળબજાર વિસ્તારમાં દુકાન બહારના ઓટલા પાલિકા તંત્ર અને વેપારીઓના સહકારથી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મંગળ બજાર વિસ્તારમાં ગટર બનાવવાની હોય જુની બનાવેલી ગટર ઉપર બનાવવામાં આવેલા ઓટલા દૂર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર નગરમાં મંગળબજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો મોટી કરવા બાબતે વેપારીઓની માંગ હતી. જે માંગ પાલિકાએ સ્વીકારી છે અને તેની કામગીરી શરૂ કરવાની હોય તે હેતુથી બુધવારે બપોરના સમયે પાલિકા તંત્ર દ્વારા વેપારીઓના સહયોગથી જૂની ગટરની ઉપર બનાવવામાં આવેલા ઓટલા જે નડતરરૂપ હોય તેને સ્વૈચ્છિક રીતે કોઈપણ જાતના ઘર્ષણ વગર નગર પાલિકા અને વેપારીઓના સહકારથી દૂર કરવામાં આવ્યા હતા. નગર પાલિકા હાલ દબાણો બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભરી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ પથારા અને કેબિનો કરી દુકાન ચલાવતા વેપારીઓને નડતરરૂપ જગ્યા પરથી હટાવી વૈકિલ્પક વ્યવસ્થા કરવામાં આવી હતી અને રસ્તો ચોખ્ખો કરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા. ગટરની સમસ્યા હલ થશે દુકાનોની બહારના પાકા ઓટલા જેવા દબાણો દૂર થતાં નવી ગટર બનાવવામાં આવશે. સાથે મંગળબજારમાં ચોમાસા દરમિયાન નાની ગટરોમાં કચરું ભેગું થતાં અને પાણી ભરાતા ગટરો ઉભરાતી હતી. જે વેપારીઓ માટે ભારે આફત રૂપ હતું. આ મોટી ગટર બનતા સદર સમસ્યાનો પણ અંત આવશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:07 am

ભાસ્કર ઈનસાઈડ:નકસલવાદી હિડમાના સમર્થનમાં કવાંટના ઇન્ફલુએન્સરે રીલ પોસ્ટ કરતાં ધરપકડ કરી

કવાંટના એક યુવક દ્વારા ખૂંખાર નકસલવાદી હિડમાના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ પોસ્ટ કરતા તેની સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. છોટાઉદેપુર જીલ્લો આદિવાસી જિલ્લો છે.અહીંયા સૌથી વધુ આદિવાસી સમુદાયની વસ્તી છે.જેમાં ગઈકાલે કવાંટ ગામના એક પરેશ રાઠવા નામના યુવક સામે છોટાઉદેપુર જીલ્લા પોલીસે ગુનો નોંધ્યો છે. બનાવની વિગત એવી છે કે, પરેશ રાઠવાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર એક રીલ બનાવીને ખૂંખાર નકસલવાદી હિડમાનુ સમર્થન કર્યું હતું. અને આવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરીને સુલેહ શાંતિનો ભંગ થાય દેશના સાર્વભૌમત્વને નુકસાન થાય,દેશની એકતા અને અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં મૂકે તેવી હોય છોટાઉદેપુર જીલ્લા એસ.ઓ.જી.એ તેના સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખીને તેની સામે ગુનો નોંધી ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, ખુંખાર નકસલવાદી હિડમા અંગે કવાંટના સોશિયલ મિડિયા ઇન્ફ્યુલુએન્સર પરેશ રાઠવાએ પોતાના સોશિયલ મિડિયા પેજ પર આદિવાસી સમાજને લગતી વિવિધ વાતો સાથેની રીલ પોસ્ટ કરી હતી. છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જીલ્લાના લોકોને સંદેશ આપતા જણાવ્યું કે, સોશિયલ મીડિયાના જમાનામાં લાઈક, ફોલોઅર્સ વધારવાના ચકકરમાં આવી કોઈ પણ પોસ્ટ કરવી નહી. કે જે પોસ્ટ કાયદાના ચકકરમાં આરોપી બનાવી દે. કોઈપણ વાત કરતા પહેલા તેનું સત્ય શું છે ? તે ખાતરી કરવી જોઇએ. પરેશ રાઠવા, ડ્રિમ ઇલેવનમાં એક કરોડ જીત્યો હતોપરેશ રાઠવા હાલ જોહર ચા નામની બ્રાન્ડ વેપાર કરે છે.અગાઉ ડ્રીમ ઇલેવન એપ્લિકેશન મારફતે ટીમ બનાવીને રૂ.1 કરોડનું ઇનામ જીત્યો હતો.તે પોતે ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલમાં બતાવ્યાનુસાર B.Sc, B.Ed, M.Sc, DMLT, સુધી અભ્યાસ કર્યો છે.અને હાલ LLB ચાલુ હોવાની માહિતી મૂકેલી છે. અને યુટ્યુબર તરીકે કામ કરી રહ્યો છે. તે પોતે કવાંટની અભયરાજ કોલોની ખાતે રહે છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:06 am

બેઠક:સગીરા દૂષ્કર્મ કેસમાં ડીએનએ ટેસ્ટ કરવા સૂચન

બોટાદ જિલ્લાના એક 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. સગીરાએ બાળકને જન્મ આપતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મેમ્બર કમલેશભાઈ રાઠોડ દ્વારા પીડીતા તથા તેના પરિવારની મુલાકાત કરાઈ હતી. સમગ્ર હકીકતની માહિતી મેળવ્યા બાદ બોટાદ જિલ્લા કલેકટર સાથે બનાવ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ કેસમાં વહેલામા વહેલી તકે ચાર્જશીટ કરવા ડીએનએ ટેસ્ટ કરવા સૂચન કર્યું હતું અને ત્યારબાદ સ્પેશીયલ પબ્લિક પ્રોસિ ક્યુટર નિમવા ભલામણ કરી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા ધર્મેશ શર્માએ આ કેસમાં પીડીતાને સંપૂર્ણ ન્યાય મળે તે માટે પોતે અંગત રસ લઈ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. આરોપી અરજણ ખોડાભાઇ પટેલ સામે ગત 1 ડિસેમ્બર-25ના રોજ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં અરજણ ખોડાભાઇ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં પોલીસે 2 ડિસેમ્બર 25ના રોજ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ બેઠકમાં બળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યની સાથે ડીસીપીઓ એસ.એલડવ, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન વી.કે .મોરી, સભ્ય અનિષાબેન ચુડાસરા, પીઓઆઇસી જી આર મેર વગેરે જોડાયા હતા. આમ બાળ અધિકાર સંરક્ષણ આયોગ ના મેમ્બર કમલેશભાઈ રાઠોડ એ પીડિત પરિવારને તમામ પ્રકારની મદદની ખાત્રી આપી હતી

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

શસ્ત્ર સમર્પણ:ગઢચિરોલીમાં 11 માઓવાદીએ DG સમક્ષ આત્મ સમર્પણ કર્યું

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મંગળવારે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મી શુક્લા સમક્ષ પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના 11 કેડરોએ શસ્ત્ર સમર્પણ કર્યું. સમર્પણ કરનારામાં ચાર હથિયારબંધ કેડરો પણ સામેલ છે. સરકારે આ તમામ પર કુલ રૂપિયા 82 લાખનું ઇનામ જાહેર કર્યું હતું, જેમાં મુખ્યત્વે વિભાગીય સમિતિના સભ્યો રમેશ ઉર્ફે ભીમા ઉર્ફે બાજુ ગુડ્ડી લેકામી અને ભીમા ઉર્ફે સીતુ ઉર્ફે કિરણ હિદામા કોવાસીનો સમાવેશ થાય છે.લેકામી 2004થી માઓવાદી ચળવળ સાથે જોડાયેલા હતા અને એડસાગોંડી ગાંવ પંચાયત જનતાના સરકારના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા હતા. બાદમાં તેમને ભામરાગડ સંગઠન સ્ક્વોડમાં બદલી કરી વિભાગીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું. કોવાસી 1998માં ભરતી થયો હતો અને 2019 પછી વિભાગીય સમિતિના સભ્ય તરીકે કામ કરી રહ્યો હતો. સમર્પણ કરનાર અન્ય કેડરોમાં પોરિયે ઉર્ફે લક્કી આદમા ગોટા, રતન ઉર્ફે સન્ના માસુ ઓયમ, કમલા ઉર્ફે રાગો ઇરિયા વેલાડી, પોરિયે ઉર્ફે કુમારી ભીમા વેલાડી, રમાજી ઉર્ફે મુરા લાખ્ચુ પુંગાટી, સોનુ પોડિયમ ઉર્ફે અજય સાનુ કાટો, પ્રકાશ ઉર્ફે પંડુ કુન્દ્રા પુંગાટી, સિતા ઉર્ફે જયની ટોંડે પલ્લો અને સૈનાથ શંકર માઢેનો સમાવેશ થાય છે. માત્ર આ વર્ષે જ ગઢચિરોલી પોલીસે 112 હથિયારબંધ માઓવાદીને સમર્પણ કરવા પ્રોત્સાહિત કર્યા છે. આ તાજું સમર્પણ વર્ષ દરમિયાન થયેલી અન્ય મોટી સફળતાઓ પછી આવ્યું છે. 1 જાન્યુઆરીએ 11 મોટા માઓવાદીએ સમર્પણ કર્યું હતું, જ્યારે 15 ઑક્ટોબર 2025ના સીપીઆઈ (માઓવાદી)ના વરિષ્ઠ નેતા મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ 61 સાથીઓ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સમર્પણ કર્યું હતું. આ ઘટનાઓએ દંડકારણ્ય ક્ષેત્રમાં માઓવાદી આંદોલનને મોટો ઝટકો પહોંચાડ્યો છે. ગઢચિરોલી મુલાકાત દરમિયાન ડીજીપી શુક્લાએ સી-60 ટુકડીને લહેરિ જંગલ વિસ્તારમાં કરેલી સફળ કામગીરી માટે સન્માનિત કરી. આ ઑપરેશન દ્વારા 61 માઓવાદીઓના સમર્પણ સાથે 54 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. તેમણે બાકીના માઓવાદીને મુખ્ય પ્રવાહમાં જોડાઈ સન્માનપૂર્ણ જીવન જીવવાની અપીલ કરી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

કાર્યવાહી:દાનહમાં ગેરકાયદે ભંગારીયા અને હત્યાના ગુનામાં સંડોવાયેલા લોકોની સંપત્તિ જપ્ત કરાશે

સેલવાસમાં ચકચારી કૃણાલ ઉર્ફે જાનકીનાથ હત્યા કેસમાં સંડોવાયેલા અને સ્ક્રેપના ધંધાનો ભંડાફોડની શંકા રાખી હત્યા કરનારાઓની ધરપકડ બાદ આવક કરતાં વધુ સંપત્તિ જોવા મળતા તેઓ સામે સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી માટે સેલવાસ પોલીસ દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સેલવાસ આમલી ફુવારા પાસે ગત 17 જૂનના રોજ સાંજે કેટલાક અસામાજિક તત્વો ગાડીમાં આવી કૃણાલ ઉર્ફે જાનકીનાથ જે મોબાઈલની દુકાન ચલાવતો તેનું અપહરણ કરીને લઇ ગયા બાદ પરિજનો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જોકે થોડા સમય બાદ પોલીસને માહિતી મળી હતી કે, ગલોન્ડાના બારાતપાડાની પાછળ પાર્થ ઢાબાની ખુલ્લી જગ્યા પર એક યુવાન લોહીથી લતપથ હાલતમાં પડેલ છે. સ્થળ પર પહોંચતા તેની ઓળખ અપહરણ કરાયેલ યુવક કુણાલ ઉર્ફે જાનકીનાથ તરીકે થઇ હતી. જેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી શરૂઆતમાં ગુનામાં સંડોવાયેલ 11 આરોપીની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે, મુખ્ય બે આરોપી અશ્વિન ઘરડે અને કરણ સિંહ ધાક ધમકી આપી લોકોને ડરાવી વસૂલી અને સ્ક્રેપ બિઝનેસમાં મનમાની કરી વિરોધીઓને રસ્તા પરથી હટાવવા તેમજ જમીન હડપવાના કામો કરતા હતા. પોલીસને વધુ જાણવા મળેલ કે આવા ગુનાઓ તો અગાઉ ઘણા થયેલ અને તેઓ સામે ફરિયાદો પણ થઇ હતી. પોલીસની ટીમે અલગ અલગ સાત જગ્યા પર રેડ પાડતા ત્યાંથી લકઝરીયસ ગાડી, જમીનોના રેકોર્ડ, વેપાર સંબંધિત લેવડદેવડ, સોનાના દાગીનાઓ મળી આવ્યા હતા. જેમાં 5 લકઝરી વાહન કિં. રૂ. 1.05, 237.04 ગ્રામ સોનુ અને 8.77 લાખની કિંમતની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી હતી. આમાની ઘણી મિલક્ત બેનામી હતી જેમાં અન્ય લોકોના નામો હતા પરંતુ માલિકી હકો સિન્ડીકેટના હાથમાં હતા. કુલ મળીને 22.16 કરોડની ગેરકાયદેસર સંપત્તિ પોલીસે અપરાધ દ્વારા કમાયેલા હોવાનો ઘોષિત કર્યો હતો. 2 આરોપીની આવક કરતા વધારે સંપત્તિ મળી સેલવાસ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી અશ્વિન ઘરડે -કરણ સિંહ તથા બંનેના પરિવારની સંપત્તિ તેમની આવક કરતા વધુ હતી. જેથી પોલીસે ગેરકાયદેસર સંપત્તિઓને જપ્ત કરવા માટે કોર્ટમાં ધા નાખી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:કણજીપાણીના ગાયબ લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલના વકીલને ત્યાં સંતાડ્યા

જાંબુઘોડાની કણજીપાણી સહીત ચાર ગ્રા.પં.માં ખોટા આધાર પુરાવાના આધારે લગ્ન નોંધણી કરનાર તલાટીને પકડી પાડયા હતો. તલાટીએ પોલીસને કહ્યુ કે વર્ષ 2025 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ ગામના એક વકીલના મકાનમાં સંતાડ્યા હોવાનું કહેતા પોલીસની ટીમ ડેરોલ પહોંચી હતી. જાંબુઘોડા તાલુકાની કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેધવાલ પાસે કરા, ઉઢવણ તથા રામપુરાના ઇન્ચાર્જ તલાટીકમ મંત્રી તરીકેનો ચાર્જ હતો. તલાટી સામે બે હજાર કરતા વધુ લગ્ન નોંધણી કરીને રૂા.50 લાખ કમાયા હોવાનો આક્ષેપ કરવામાં આવતા જિલ્લા પંચાયતે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ ટીમે ચાર ગ્રામ પંચાયતમાં તપાસ કરતા ગ્રામ પંચાયતમાંથી વર્ષ 2025 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. જ્યારે તલાટી અર્જુન મેધવાલ તથા લગ્ન કરેલ પ્રેમી યુવક યુવતી સામે જાંબુઘોડા પોલીસ મથકે બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરીને ખોટા લગ્ન પ્રમાણ પત્ર ઇશ્યુ કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. જાંબુઘોડા પોલીસ મથકની એસ.બી.બુટીયા તથા તેમની ટીમે તલાટી અર્જુન મેધવાલને પકડી પાડી પૂછરપછ કરતાં તેને 2025માં લગ્ન નોંધણીના દસ્તાવેજ ડેરોલ ગામે એક વકીલના મકાનમાં સંતાડી રાખ્યા હોવાનું જણાવ્યુ હતું. પોલીસની ટીમ ડેરોલ ગામે મકાનમાં તપાસ કરવા ગઇ છે. પોલીસે મકાનમાંથી મળેલ દસ્તાવેજોમાંથી ફરીયાદમાં નોંધાયેલ લગ્ન નોંધણીના દસ્તાવેજો કબજે કરીને બીજા અન્ય લગ્ન નોંધણીના દસ્તાવેજો તપાસ ટીમ સોપશે. લગ્ન નોંધણીના દસ્તાવેજો કબજે કરાયાંએલસીબી, એસઓજી તથા જાંબુઘોડા પોલીસની સંયુક્ત ટીમે સર્વેલન્સ અને બાતમીના આધારે તલાટી અર્જુન મેઘવાલ ડેરોલ ગામે સંતાયો હોવાની બાતમી મળતાં ડેરોલ ગામેથી પકડી પાડ્યો હતો.જ્યારે જાંબુઘોડા પોલીસે લગ્ન નોંધણી દસ્તાવેજો સંતાડ્યા હતા. તે મકાનમાં તપાસ કરતાં લગ્ન નોંધણીના દસ્તાવેજો મળતા પોલીસે લગ્ન નોંધણી દસ્તાવેજો કબજે કર્યા છે.. તલાટીની મિલકતની તપાસ માટે રજૂઆત થશે તલાટી અર્જુન મેધવાલ પાસે ચાર ગ્રામ પંચાયતનો ચાર્જ હોવાથી લગ્ન નોંધણી કરીને તેના દસ્તાવેજો પોતાની સાથે લઇને જતો હતો. જેથી તપાસ ટીમ ગ્રા.પં.માં તપાસ કરવા જતા વર્ષ 2024 ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળ્યા હતા. તલાટીને વર્ષ 2025 ના લગ્ન નોંધણી દસ્તાવેજો ડેરોલ ખાતે સંતાડી રાખ્યા હતા. તેમજ તલાટી લાખો રૂપીયા કમાઇને રાજસ્થાનમાં જમીનો લીધી હોવાનું વાઇરલ વિડીયોમાં જણાવતા જિ. પં. તલાટીની મિલ્કતની તપાસ એસીબી પાસે કરવાની રજુઆત કરશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

દબાણ દૂર કરાયા:મોરબીના સામાકાંઠે રોડને નડતરરૂપ દબાણો ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબી મહાપાલિકા દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા મનપાના અધિકારીઓ દબાણ હટાવ શાખાએ શહેરના હૃદય સમાન નહેરુ ગેઇટ અને લોહોંણાપરા આસપાસના બજાર વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી કરી અહીંના વેપારીઓની દુકાનની આડે લારીઓ અને પાથરણાવાળા હોવાથી ધંધો કરવામાં મુશ્કેલી પડતા આ દબાણોને હટાવી દીધા હતા. તેમજ સામાકાંઠે ચક્કર રોડ નિત્યાનંદ સોસાયટી અંદરના વિસ્તારમાં રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને મનપા દ્વારા જેસીબી વડે મકાનોની દીવાલો તથા રોડને નડતરરૂપ બાંધકામો તોડવામાં આવ્યા હતા. મનપા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સામાકાંઠે ચક્કર રોડ ખડકાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દોઢ કિમીનો રોડ રૂ.6.94 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સાથે મંજુર થયો છે. જેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોય ડીમોલેશન બાદ આ રોડની કામગીરી શરૂ કરાશે. આ બાબતે કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે અહીં દોઢ કિલોમીટરના રોડનું કામ મંજુર થવાથી આજે રોડને નડતરરૂપ તમામ દબાણો હટાવી કામગીરી કરાશે. ઢોર પકડની કામગીરીમાં ભેદભાવનો આક્ષેપ‎શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મનપાની ઢોર પકડવાની કામગીરીમાં ભેદભાવનો આક્ષેપ કર્યો હતો, કહ્યું હતું કે મનપા ઢોર પકડ ઝુંબેશના નામે ગાયો અને વાછરડીને વધુ પ્રમાણમાં પકડે છે, રખડતા ઘણખુટને પકડવામાં આવતા નથી. આ ગૌમાતા અને વાછરડીને પકડીને હળવદ અને સમલી મોકલવામાં આવતા હોવાથી પશુ પાલકોને એમને છોડાવવામાં મુશ્કેલી પડે છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

રહીશોનો કલેક્ટર કચેરીમાં મોરચો:મોરબીના વાડી વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા દિવાસ્વપ્ન સમાન

મોરબીના વાડી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવા મામલે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી સ્થાનિક રહીશોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, રાજાશાહી એટલે આશરે 100 વર્ષથી મોરબીમાં વસવાટ કરીએ છીએ. આમ છતાં જે ગામડાઓમાં જે સુવિધા મળતી હોય એ સુવિધાઓ શહેરની હદમાં અને મધ્યમ આવેલા આ વાડી વિસ્તારોમાં આજદિન સુધી પુરી પાડવામાં આવતી નથી. પ્રાથમિક સુવિધાના અભાવે કોઈ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારને પણ સારો કહેવડાવે એવી વાડી વિસ્તારોની નર્કથી બદતર હાલત થઈ ગઈ છે. આથી માત્ર ચૂંટણીમાં મત વખતે વાડી વિસ્તારોને શહેરનો ભાગ ગણવો એ તંત્ર અને નેતાઓ માટે શરમજનક બાબત કહેવાય.આ વિસ્તારમાં તમામ માર્ગો કાચા છે. આજદિન સુધી પાક અને મજબૂત રોડ બન્યા નથી. સાફ સફાઈના અભાવના કાયમી પ્રશ્નને કારણે આ વિસ્તારોમાં ભારે ગંદકી ફેલાય છે. મોટાભાગના શહેરી વિસ્તારોમાં તેમજ હવે તો ગામડામાં પણ ભૂગર્ભ ગટરની સુવિધા આપવામાં આવી હોવા છતાં મહત્વની આ ભૂગર્ભ ગટરની સુવિધાઓ આપવામાં આવી નથી તે બાબત તંત્ર માટે કલંક સમાન છે. આ ઉપરાંત રોડ કાચા હોય ચોમાસાના ચાર મહિના સુધી પાણી ભરાવવા અને ગારા કિચડથી આ વિસ્તારના લોકોની કલ્પના ન કરી શકાય તેવી કસોટી થાય છે. સ્ટ્રીટ લાઈટના તો દર્શન જ દુર્લભ છે. 100 જેટલા વાડી વિસ્તારમાં હજુ પણ દેશી નળીયાના મકાનોમાં રહી ખેતીકામ કરતા આ ખેડૂતોએ અત્યાર સુધીની દરેક રજુઆતો ફૂટબોલની જેમ તંત્રના બહેરા કાને અથડાઈને પરત આવી છે. પહેલા સુવિધા પછી જ વેરો વાડી વિસ્તારોના લોકોએ કલેકટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેમના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા અગાઉ નગરપાલિકા, કલેકટર, હવે મનપાને રજુઆત કરી છે. બીજી તરફ સુવિધાઓ ન હોવા છતાં પણ મનપાએ સફાઈ, ભૂગર્ભ, પાણી, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટના વેરા ભરપાય કરવાની નોટિસ ફટકારી છે. પણ હકીકતમાં આ તમામ સુવિધાઓ છે જ નહીં.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

વાતાવરણ:ચુંવાળ સહિત પંથકમાં ઠંડીનું પ્રમાણ વધતાં ખેડૂતો ખુશ

દિવાળી બાદ કુદરતે મોસમનું ચક્રવેર વિખેર કરી નાખ્યું હોય તેમ કમોસમી વરસાદ પડતા તમામના જીવ ઊંચા નીચા થઈ ગયા હતા. કુદરતની દયાપર જીવતા ખેડૂત વર્ગનાહોસ કોસ ઉડી ગયા હતા. ખેતરોમાં ખરીફ પાકનોસોથ વળી ગયો હતો. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નુકસાની વળતર ચૂકવવા સર્વેની સાથે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમોસમી વરસાદને કારણે રવિ પાક ના વાવેતર માં પણ તેજી જોવા મળી ન હતી. આખરે ઠંડીનું પ્રમાણ વધતાં પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો અને ખેડૂતો રવિ પાકના વાવેતરમાં જ જોત્તરાઈ ગયા હતા. ચુંવાળ સહિત પંથકના ખેડૂતોએ ઘઉં ચણા સહિત રવિ પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધતા ખેડૂતો ખુશ થયા છે. ખેડૂતો ઠંડી પડવાની સાથે ખુશી એટલા માટે અનુભવે છે કે મિશ્ર વાતાવરણને કારણે પાકમાં આવેલ રોગ અને ઇયળો પણ હવે ઓછી જોવા મળશે. જેના કારણે જંતુનાશક દવાના છંટકાવમાં ફાયદો થયો છે ઠંડી પડવાની સાથે વહેલી સવારમાં શહેરી વિસ્તારોમાં બાગ બગીચા અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા મેદાનોમાં સ્વાસ્થ્ય પ્રેમીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ વધતાં શિયાળામાં સ્વાદ પ્રેમીઓ સ્વાદનો ચટકો લેવાનું ચૂકતા નથી. શિયાળાની શરૂઆત થતા લીલા અને તરો તાજા શાકભાજીની આવક થતા મોડી રાત્રે ખેતરો અને વાડીઓ ફાર્મ હાઉસોપર શિયાળાની ઠંડીનું દેશી જમણ બાજરીના રોટલા લીલા ચણાનું શાક, તુવેર ના ટોઠા રીંગણનું ભડતું સહિત ની મીજબાની ની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ ગૃહિણીઓ શિયાળાની ઠંડીનું પ્રિય લીલા શાકભાજી મોટા પ્રમાણમાં જોવા મળતા લારીઓ પરથી ખરીદીનું પ્રમાણ વધારે થતું જોવા મળી રહ્યું છે. હવે ના દિવસોમાં શિયાળો પોતાનો અસલી મિજાજ દેખાડશે અને વધુ ઠંડી પડશે તેવા લક્ષણો દેખાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

પ્રેરણા:ગોબરધન યોજના ઉમરાળા ગામ લોકો માટે વરદાન‎

સ્વચ્છતા અભિયાન હવે ગ્રામ વિકાસનો મજબૂત આધાર બની રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આ વિચારને સાકાર કરી રહ્યું છે. ગોબરધન પ્રોજેક્ટના સફળ અમલ થી ઉમરાળા ગામ ઓ.ડી.એફ. પ્લસ મોડલ ગામ તરફ દ્રઢ પગ લાં ભરી રહ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2014 માં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત થઈ ત્યારે સ્વચ્છતા એક જન આંદોલન બની. જેના પરિણા્મરૂપે 2જી ઓક્ટોબર 2019ના સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) જાહેર કરવામાં આવ્યો વર્ષ 2020-21 થી 2024-25 દરમિયાન સ્વચ્છ ભારત મિશન તબક્કા-2 અંતર્ગત તમામ ગામોને ODF Plus Model ગામ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ તબક્કામાં ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક સંચાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગોબરધન પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બની રહ્યો છે. રાણપુર તાલુકાના ઉમરાળા ગામે આ પ્રોજે ક્ટનો શ્રેષ્ઠ અમલ થઈ રહ્યો છે. ગામના લાભાર્થીઓને ગંધ રહિત, રસોઈ માટે બાયોગેસ મળી રહ્યો છે, જ્યારે પ્લાન્ટમાંથી મળતી મિથેન રહિત સ્લરી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ સ્લરીનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીને ખેડૂતો વધુ ઉત્પાદન સાથે જમીનની ફળદ્રુપતા પણ જાળવી રહ્યા છે. ખર્ચમાં ઘટાડો, ઉત્પાદન વધારે અને પર્યાવરણ સુરક્ષા ત્રણેનો સમન્વય ઉમરાળા ગામમાં શક્ય બન્યો છે. સ્વચ્છતા, સ્વાવલંબન અને સસ્ટેનેબલ વિકાસનું સુંદર ઉદાહરણ બની રહેલું ઉમરાળા ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભયનો માહોલ:સેવાલિયા ગામની એસીસી કંપનીમાં દીપડો આવ્યો હોવાની અટકળો વચ્ચે પાંજરુ મૂકાયું

ઠાસરાના ઉદધમપૂરા કેનાલ પાસે સાત દિવસ પહેલા દીપડા દ્વારા ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામ એસીસી કંપનીના 10 એરિયામાં દિપડો પસાર થતા ના પગલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઇ વન વિભાગની ટીમે સેવાલિયા ગામમાં પાંજરું મૂકી દીપડાની શોધખોળ શરૂ કરી છે. ઠાસરા તાલુકામાં આવેલ ઉદમતપુરા ગામમાં વાઘ આવ્યો હોવાની ચર્ચાને લઈ આસપાસના ગ્રામજનો વાઘને જોવા ગયા હતા. પરંતુ વાઘની જગ્યાએ દીપડો નીકળતા ગ્રામજનો દીપડાની નજીક જવાની કોશિશ કરી હતી. જે દરમિયાન દિપડો પોતાના બચાવ માટે ચાર લોકો પર હુમલો કર્યો હતો. જેને લઇ વન વિભાગ દ્વારા ઉદમતપુરા વિસ્તારમાં પિંજરા મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સાત દિવસ બાદ ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામ એસીસી કંપનીના 10 એરિયામાં દિપડાના પગલા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની જાણ વન વિભાગના થતા તાત્કાલિક ધોરણે વન વિભાગ સ્થળ પર દોડી ગયું હતું. આ સાથે વન વિભાગ અને એનજીઓ દ્વારા સતત આ વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. જોકે કોઈ વ્યક્તિએ પ્રત્યેક દીપડો જોયો નથી પરંતુ હાલ સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા રાત્રી દરમિયાન કામ સિવાય બહાર ન નીકળવું તે અંગે સૂચના આપવામાં આવી રહી છે. પગલાના નિશાન દીપડાના લાગતા નથી છતાં પાંજરુ મૂક્યું મંગળવારે મોડી રાતે સેવાલિયા ગામના ગ્રામજનોને ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સેવાલિયાના ગામમાં દીપડો આવ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં પાંજરું મુકવામાં આવ્યું છે. જગ્યાએ જઈને ચકાસણી કરવામાં આવતા તે કુતરાના પગલાના નિશાન મળ્યા હતા. > વિજય પટેલ, આરએફઓ ડાકોર

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ચેકિંગ:સોમનાથમાં હોટલમાં એન્ટ્રી ન કરનાર સામે કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટમ બાબતે મહત્વની માહિતી મળી રહે અને આંતકવાદી ઘટનાઓને અટકાવવા તમામ માહિતી ફાર્મ હાઉસો, ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા રીસોર્ટ ફાર્મહાઉસ, હોટલ ગેસ્ટહાઉસમાં આવતા લોકોના આધાર, પુરાવા વાહન વિગેરેની એન્ટી કરવા માટે જીલ્લા મેજી મા. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમી કડક અમલવારી કરાવવા માટે નિલેશ જાજડીયા, પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ જુનાગઢના તથા જયદિપસિંહ જાડેજાની સૂચનાથી તારીખ 8-12-2025નાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.એમ કાગડાનાઓની રાહબરીમાં એસઓજીની ટીમ તથા પ્ર.પાટણ પોલીસ સ્ટેશનની 4 ટીમો બનાવી સોમનાથ મંદિર વિસ્તારની નજીકમા આવેલ હોટલ, ગેસ્ટહાઉસ ચેક કરવામાં આવેલ. જેમાં પ્ર. પાટણમાં 34 હોટલ, ગેસ્ટ તથા એમઓજી શાખાની ટીમ દ્વારા ઊનામાં 05 ગેસ્ટહાઉસ, કોડીનારમાં 5 હોટલ વેસ્ટહાઉસ એમ કુલ-45 હોટલ-ગેસ્ટહાઉસમાં ચેકીંગ કરાયું હતું. જેમાં પક્ષીક ઓફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂધ્ધ 6 ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં દીનેશ સવજીભાઈ વાજા રહે. પ્ર.પાટણ, દીપેશભાઈ મનહરલાલ હૈનાણી રહે.પ્ર.પાટણ, મથુરભાઈ દિનેશભાઈ વાજા રહે. પ્ર.પાટણ, મુકેશભાઈ રહે. પ્ર.પાટણ, પરેશભાઈ ભગવાનભાઈ રહે. વેરાવળ, પ્રથમભાઈ બાલકૃષ્ણભાઈ રહે વેરાવળ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

વીર જવાનની સ્મશાન યાત્રા:મોરબીના જવાન મહારાષ્ટ્રમાં ફરજ દરમિયાન શહીદ, આજે સ્મશાન યાત્રા

મોરબીના વતની અને ભારતીય સેનાના જવાન મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયા છે. આ સમાચાર મળતા તેમના પરિવારે અને સમગ્ર મોરબી પંથકે શહીદ જવાનની રાષ્ટ્ર ભક્તિને નત મસ્તક વંદન કર્યા છે. આવતીકાલે આ શહીદ જવાનની ભારે હૈયે સ્મશાન યાત્રા નીકળશે. મોરબીના વતની અને 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા પરમાર ગણેશભાઈ મનસુખભાઇ ગઈકાલે મહારાષ્ટ્ર જિલ્લાના અહેમદનગર ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કારણોસર આ જવાન શહીદ થયા હતા. ભારતીય સેનામાં માભોમની રક્ષા કાજે વીરગતિ પામતા તેમના પરિવાર અને મોરબી શહેરે આ જાંબાઝ જવાનની રાષ્ટ્રભક્તિને ગર્વની લાગણી સાથે સલામ કરી છે. આવતીકાલે ગુરુવારે રાષ્ટ્રીય માન સન્માન સાથે આ શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન મોરબીની સંભારા વાડી વિસ્તારમાં લાવવામાં આવશે. જ્યાંથી તેમને તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. દેશ માટે બલિદાન આપનાર અમર શહીદ વીર જવાન પરમાર ગણેશભાઈ મનસુખભાઈની અંતિમ યાત્રા આવતીકાલે તારીખ ૧૧/૧૨/૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૯ કલાકે સભારાની વાડીએથી શરૂ થઈ શનાળા રાજપર ચોકડી, ભક્તિ નગર સર્કલ, દલવાડી સર્કલ, પંચાસર ચોકડી થઈ સોનાપુરી સ્મશાન ખાતે પૂર્ણ થશે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયને વીર જવાનને શ્રદ્ધાંજલિ આપશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:તળાવ જોડવાની યોજનાની નિષ્ફળતાના કારણે નવસારીના 40 ટકા વિસ્તારમાં પુનઃ પાણીકાપ

નહેરનું રોટેશન 45 દિવસ બંધ રહેનાર હોય નવસારી શહેરના 40 ટકા વિસ્તારમાં પાણીકાપ મૂકી બેની જગ્યાએ એક ટાઈમ પાણી અપાશે. તળાવ જોડાણની યોજના સફળ નહીં થતા સમસ્યા પુનઃ સર્જાઈ છે. નવસારીની મધુર પાણી યોજના ઉકાઈ ડેમની નહેર આધારિત છે. યોજના અંતર્ગત નહેરનું પાણી શહેરના બે તળાવો દુધિયા તળાવ અને દેસાઇ તળાવમાં ઠાલવી ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી શહેરીજનોને પાણી આપવામાં આવે છે. જ્યારે નહેરનું રોટેશન વધુ દિવસ બંધ રહે ત્યારે પાણીમાં મુશ્કેલી સર્જાય છે. છેલ્લા કેટલાક વર્ષથી દર વર્ષે એક દોઢ મહિનો સ્થિતિ સર્જાય છે. હાલ પણ રોટેશન 45 દિવસ બંધ રહેનાર હોય મહાપાલિકાએ પાણીકાપ મૂકવાની ફરજ પડી છે. મનપાના જણાવ્યા મુજબ નહેરનું પાણી વધુ દિવસ બંધ રહેનાર હોય 11 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી પાણી એક ટાઈમ શહેરના જૂના નવસારી પાલિકા વિસ્તારમાં અપાશે, આ વિસ્તાર શહેરનો 40 ટકા વિસ્તાર છે. નહેરના રોટેશન થકી ઊભી થતી દર વર્ષની સમસ્યા દૂર કરવા પાણીના વધુ સ્ટોરેજ માટે ત્રણ વર્ષ અગાઉ પાલિકાએ અગાઉ કુલ 5 તળાવ જોડવાની યોજના બનાવી હતી. તળાવ લીંક પણ કર્યા પણ સફળતા મળી નહીં, જેને લઈ પુનઃ આ વર્ષે પણ શહેરીજનોને પાણીકાપ સહન કરવો પડશે. અહીં ઉલ્લેખનીય છે કે, શહેરના વિજલપોર તથા શહેરમાં જોડાયેલ અન્ય 12 ગામોમાં આ કાપની અસર થનાર નહીં હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. પાણીની લીંક યોજનાના ત્રણેય તળાવો હાલ બિસ્માર હાલતમાં પાલિકાએ જે તળાવ જોડાણની યોજના બનાવી હતી. તેમાં પાણી યોજનાના દુધિયા તળાવ સાથે સરબતિયા તળાવ અને ટાટા તળાવ જોડાયું તો દેસાઈ તળાવ સાથે થાણા તળાવ જોડવામાં આવ્યું હતું. આ યોજનામાં જોડાયેલ ત્રણેય તળાવો થાણા, સરબતિયા હાલ બિસ્માર છે તો ટાટા તળાવનો પણ પાણી યોજનામાં ઉપયોગ નથી. પૂર્ણા ડેમ કાયમી સમસ્યા હલ કરી શકે છે નવસારીમાં પાણી યોજના માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ,ઓવરહેડ ટાંકી,સંપ,લાઇનો, તળાવો વગેરે પાછળ કરોડો રૂપિયા ખર્ચ થયો છતાં પાણીની સમસ્યા પૂર્ણતઃ હલ થઈ નથી. તળાવ જોડાણ પ્રોજેક્ટ પણ સફળ નથી ત્યારે હવે શું ? મળતી માહિતી મુજબ વધુ જથ્થામાં નજીકના સ્થળે પાણી સ્ટોરેજ કાયમી રહે તે માટે હાલ બની રહેલ પૂર્ણા ટાઇડલર ડેમ ઉપર નજર ઠરી છે. અહીં પાણીનો મોટો જથ્થો સ્ટોરેજ થનાર હોય મનપા અહીંથી પાણી મેળવી શકે છે. આ બાબતે વિચારણા અને યોજના પણ આગળ ધપી હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ચોરીનો બનાવ:કબીલપોરમાં પરિવાર નોકરીએ ગયો ને તસ્કરોનો 1.89 લાખ મતાનો હાથફેરો

નવસારી શહેરના કબીલપોર વિસ્તારનાં સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર નોકરી માટે ગયો હોવાથી ઘર બંધ હતું. જેમના ઘરમાં તસ્કરોએ ભરબપોરના સમયે તાળું તોડી પ્રવેશ કરી 1.89 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગત સપ્તાહમાં શાંતાદેવી રોડ પર આવેલ એપાર્ટ.માં બીજા માળે રહેતા ખમણ વેચવા સુરત જતા પરિવારના ઘરે તસ્કરોએ દોઢ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. કબીલપોરના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના રૂમ નંબર-301માં રહેતા શિવકુમાર રાઠોડ તેમના પરિવાર નોકરી કરતા હોય તેઓ દિવસ દરમિયાન બહાર જ હોય છે. તા.8 ડિસેમ્બરના રોજ શિવ રાઠોડ અને તેમના ઘરના લોકો રાબેતા મુજબ 1 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા, ત્યારબાદ તસ્કરોએ બપોરે 2થી રાત્રે 9 વાગ્યાના દરમિયાન તસ્કરોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ચાર કબાટો તોડી સોના-ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ અને રોકડ રૂ. 35 હજાર મળી રૂ. 1.89 લાખ મતા ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ શરૂ કરી છે. ચોરીના બીજા દિવસે વહુને પુત્ર જન્મજે ઘરમાં ચોરી થઈ તે ઘરમાં માતા અને દીકરા અને વહુ રહે છે. વહુને ડિલિવરીના છેલ્લા દિવસો જતા હતા. જે દિવસે ચોરી થઈ તેની જાણ બીજા દિવસે વહુને પણ થઈ અને તે જ દિવસે હોસ્પિટલમાં પુત્રને જન્મ આપતા કહી ખુશી કહી ગમની સ્થિતિ સર્જાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ નજરે પડતા તપાસ શરૂ કરાઇ ચોરીની ઘટના થઈ તે સ્થળે ફોરેન્સિક અને ફિંગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોર્ડ નિષ્ણાતોની મદદ સાથે ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ ચાલી રહી છે. ગુનાહિત તત્વોની ઓળખ અને પકડ માટે પ્રયાસો તેજ કર્યા છે. જેમાં કેટલાક શંકાસ્પદ વાહન ચાલકો નજરે આવતા તેમના આવવા જવાના માર્ગે આવેલ સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહ્યાં છે. > વી.જી.ભરવાડ, પીઆઇ, નવસારી ગ્રામ્ય

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:નવસારી જિલ્લામાં દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ

નવસારી પૂર્વપટ્ટીમાં કુંભાર ફળિયા ગામે બુધવારના રોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતો લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ સાથે નવસારીમાં 17 દિવસમાં ત્રીજો દીપડો વન વિભાગના પાંજરે પુરાયો હતો. નવેમ્બરમાં બે દીપડા પાંજરે પુરાયા હતા. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં અવારનવાર દીપડો દેખાવાની ઘટના બનતી રહે છે. નવસારીના પૂર્વપટ્ટીમાં આવેલ કુંભાર ફળિયા ગામે છેલ્લા ઘણાં દિવસથી દીપડો દેખાવાની ઘટના બનતા ગામના સરપંચ દ્વારા આ ઘટના અંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જને આ અંગે જાણ કરવામાં આવી હતી. સૂપા રેન્જ દ્વારા કુંભાર ફળિયામાં કૃષ્ણકાંત રણછોડભાઈ ચૌહાણના ખેતરમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બુધવારના રોજ વહેલી સવારે શિકારની શોધમાં એક ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગને આ અંગે જાણ કરાઇ હતી. વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ જરૂરી ડોક્ટરી તપાસ તેમજ જંગલ મુક્ત કરવામાં આવ્યો હતો. ગામમાં હજુ બે દીપડા દેખાતા હોય વન વિભાગે બે જગ્યાએ પાંજરા મૂક્યાકુંભાર ફળિયા ગામે હજુ બે દીપડાઓ દેખા દેતા હોવાથી વન વિભાગે બે અલગ અલગ જગ્યાએ દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. એક વર્ષ પહેલા દીપડાએ ફુલ લેવા ખેતરમાં જતા નાગધરાના યુવાન ઉપર હુમલો કર્યો હતો ત્યારે દીપડા દેખાયા હતા. આ વર્ષે 9 દીપડા પાંજરે પૂરાયાજાન્યુઆરી 2025થી આજના દિવસ સુધી 9 જેટલા દીપડાઓ સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જમાં પાંજરે પુરાયા છે. 23 નવેમ્બરના રોજ નવસારીના કાછિયાવાડી અને 29 નવેમ્બરના રોજ જલાલપોરના કોથમડી ગામે દીપડો પાંજરે પુરાયો હતો. નવસારી તાલુકામાં આવેલી નહેર અને નદી જેવા વિસ્તારોમાં દીપડાની અવર જવર વધી જવાનું લોકોનું કહેવુ છે. તો વન વિભાગ દ્વારા પણ ફરિયાદને પગલે પાંજરૂ પણ ગોઠવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

પંચલાઇના 38 વર્ષીય યુવકનું પણ એટેકથી સારવાર પહેલા મોત:અગસ્તક્રાંતિ ચાલુ ટ્રેનમાં વલસાડના TCને હાર્ટ એટેક

વલસાડ રેલવે વિભાગમાં TC તરીકે ફરજ બજાવતા ધીરજ સરજારેનું મંગળવારે અગસક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. વિગતો મુજબ, મથુરા રેલવે સ્ટેશન પસાર કર્યા બાદ તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાયો હતો. કેટલીક જ પળોમાં તેમની તબિયત વધુ બગડતાં હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગે આગળના સ્ટેશન પર તબીબી તપાસની વ્યવસ્થા કરી હતી, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ ધીરજભાઈને મૃત જાહેર કર્યા હતા. આજે તેમનો પાર્થિવ દેહ વલસાડ લાવવામાં આવ્યો હતો, જ્યાં ગમગીનીભર્યા વાતાવરણમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.ધીરજ સરજારે પાછળ પત્ની, બે દીકરીઓ અને એક દીકરો એવો પરિવાર છોડી ગયા છે. બીજી ઘટનામાં પારડીના પંચલાઈ ગામે તાળ ફળીયામાં રહેતા ભાવિન વિનોદભાઈ ધો.પટેલ ઉં.વ. 38ની તબિયત છેલ્લા ચાર-પાંચ દિવસથી સારી ન હતી. 9 ડિસેમ્બરે રાત્રે 11.30 કલાકે તેને ઉલ્ટીઓ થવા લાગતા દવા લીધી હતી.મોડી રાત્રે 12.30 વાગ્યે ગભરામણ થવા લાગી હતી.જેથી પરિવારે તૂરંત કાકાના દીકરા ધનશ્યામને ફોન કરીને વાન લઈને બોલાવી ભાવિનને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ લઈ જઇ રહ્યા હતા. જોકે રસ્તામાં તેની ગભરામણ વધી ગઈ અને ઊંડા-ઊંડા શ્વાસ લેવા લાગ્યો હતો ને થોડી જ વારમાં બેભાન થઈ ગયો હતો.​ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડોક્ટરે ભાવિનને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઇ મિતેશે જણાવ્યું કે તેમના ભાઈનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભાસ્કર ફોલોઅપ:વલસાડ બોગસ તબીબોની સક્રિયતા! CDMOની લાપરવાહીએ દવાખાનાને ખુલ્લું પ્રોત્સાહન આપ્યું

જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થાની નબળી સાંકળ અને CDMOની લાપરવાહીને કારણે બોગસ તબીબો ધડાધડ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ સર્ટિફિકેટ મેળવી રહ્યા હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. કપરાડામાં ખાતે તો ચરમસીમા એ જણાઈ છે કે, નાનાપોંઢા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ ચૂકેલા આરોપી–કમ–બોગસ તબીબે હજી પણ પોતાની ગેરકાયદેસર દવાખાનું ચાલુ રાખ્યું છે. દીવાલ પર સર્ટિફિકેટ લટકાવી તે લોકોની જિંદગી સાથે રમતાં હોવા છતાં આરોગ્ય વિભાગ પ્રેક્ષક બની બેઠું છે. 28-01-2025ના રોજ હૈદલબારી ગામે તબીબી ડિગ્રી વગર જ સારવાર આપતા રતન મોંડલ વિરુદ્ધ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કાયદેસર કાર્યવાહી પણ થઈ હતી. તેમ છતાં આ જ બોગસ તબીબ હવે CDMOના ચોક્કસ ’ખોટા નિર્ણય’ના કારણે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ સર્ટિફિકેટ મેળવી ફરીથી ગેરકાયદે પ્રેક્ટિસ ચાલુ રાખી રહ્યો છે. CDMOના અપડાઉનને લઈને જિલ્લા ભરના લોકોમાં ભારે ટીકાવલસાડ સિવિલ હોસ્પિટલના CDMO વલસાડમાં રહેવાના બદલે સુરત–વલસાડ વચ્ચેના સતત અપડાઉનમાં જ વધુ રસ ધરાવે છે. ભીલાડ–ટુ–ભીલાડ ટ્રેનમાં આવજા કરવાના કારણે ફરજ કરતાં ઘરભણી દોડને વધુ પ્રાથમિકતા આપતા હોવાની જનતામાં ચર્ચા છે. એવી જ ઢીલી કામગીરીને કારણે બોગસ તબીબોને સર્ટિફિકેટ મંજૂર થવાનો માર્ગ મોકળો થયો હોવાથી તેમની ટીકા થઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

જિલ્લામાં વળતર સહિતના મામલે વિરોધની નવી પરંપરા‎:નર્મદામાં ટાવર પર ચઢી વિરોધ કર્યો તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે

નર્મદા ડેમના અસરગ્રસ્તો સહિતના લોકો મોબાઇલ ટાવર અથવા વીજથાંભલાઓ પર ચઢીને વિરોધ કરતાં હોય છે. આવા બનાવો રોકવા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. ટાવર અથવા થાંભલા પર ચઢીને વિરોધ કરનારાઓ સામે હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જેમાં જિલ્લામાં આવેલા વીજ કંપનીના ટાવર, નેટવર્ક સપ્લાયના ટાવર તેમજ અન્ય ટાવરો પર સંબંધિત કંપની તથા એજન્સીઓએ ફેન્સીંગ કરાવી અનધિકૃત વ્યક્તિઓ ટાવરના વિસ્તારમાં ન પ્રવેશી શકે તે માટે લોકસિસ્ટમ તેમજ સિક્યુરીટી ગાર્ડ રાખવાના રહેશે. તેવી જ રીતે જિલ્લામાં આવેલા વીજ કંપનીના ટાવર, નેટવર્ક સપ્લાયના ટાવર તેમજ અન્ય ટાવરોપર સંબંધિત કંપની અથવા એજન્સીઓના અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તિઓના ચડવા પર પ્રતિબંધરહેશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

રજૂઆત:સાવરકુંડલાના મોટાઝીંઝુડાથી વિજયાનગર જવાનો રસ્તો ખુલ્લો કરાવવા લોકોની માંગ

સાવરકુંડલા તાલુકાના મોટાઝીઝુડા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ મનુભાઈ દુધાત દ્વારા પત્ર પાઠવી મોટાઝીંઝુડા ગામથી વિજયાનગર ગામ તરફ જવાનો કાચો રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રસ્તા પર ઘણા સમયથી બંને બાજુ દબાણ હોવાથી અવર જવર કરવી ખુબ જ મુશ્કેલ બને છે. રસ્તા પર નાના વાહન ચાલકો પણ અવર જવર કરી શકતા નથી. જેથી આ રોડને સત્વરે ખુલ્લો કરી આજુ બાજુના ઝાડી, ઝાખરા અને થયેલ દબાણોને દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મોટાઝીંઝુડા ગામથી વિજયાનગર ગામ તરફ જતા માર્ગ અંગે અગાઉ પણ પંચાયતને પત્ર પાઠવી જાણ કરવામાં આવેલ હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે હવે ફરી ગામના ખેડૂત દ્વારા મોટાઝીઝુડા ગામના સરપંચ, તલાટી મંત્રી અને ગ્રામ પંચાયત કચેરીને પત્ર પાઠવી રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ફરિયાદ:અમરેલીમાં ગૌરક્ષાનું કામ કરતા યુવકને રસ્તામાં આંતરી સાત શખ્સોનો હુમલો

અમરેલીમાં ગૌરક્ષાનું કામ કરી રહેલા એક યુવકને ગાડીની રેકી કરતો હોવાની શંકા રાખી સાત શખ્સોએ વાહનમાં ધસી આવી મુંઢ મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે અમરેલીમાં જેસીંગપરા શેરી નંબર ત્રણમાં રહેતા ધવલ ચીનુભાઈ મૈસુરિયા ( ઉં. વ. 21) નામના યુવાને અમરેલીના સાબીર હરુણભાઇ માંડલિયા, ઝાકીર હુસેનભાઇ માંડ્યા, શાહિદ સુલેમાનભાઈ કાવિયા, આબિદ હુસેનભાઇ માંડલીયા, ઇમરાન ઈકબાલભાઈ માંડલિયા, હનીફ આદમભાઈ શેખ અને ભગા જીવાભાઇ વાઘેલા નામના શખ્સો સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણ જણાવ્યું છે કે તે છેલ્લા પાંચેક વર્ષથી ગૌરક્ષક તરીકે કામ કરે છે. હમણાં અહીં ઢોરની ગાડીઓ ભરાતી હોય આ શખ્સોને એવું લાગ્યું હતું કે તે ગાડીની રેકી કરે છે. જેથી એક પીકપ વાન અને બાઈક પર ધસી આવી સાતેય શખસોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:1872માં બનાવેલા ટાવરની ઘડીયાળ‎3 મહિનાથી બંધ, ચાલુ કરવા માંગ‎

સુરેન્દ્રનગર શહેરની સ્થાપના અંગ્રેજોએ કરી હતી જે વાત સૌ જાણે છે. તે સમયે લોકોને સમયનો ખ્યાલ રહે એ માટે 1872માં અંગ્રેજ અધિકારી જોર્ડને આ ટાવર બનાવ્યો હતો. ટાવર એ સુરેન્દ્રનગર શહેરની આગવી ઓળખ છે. પરંતુ ટાવર માટે મહત્વની બાબત હોય તો તે છે ઘડીયાળ. આ ટાવરની ઘડીયાળ છેલ્લા 3 મહિનાથી બંધ છે. જે ચાલુ કરાય તેવી શહેરીજનોની માંગ છે. સુરેન્દ્રનગર શહેરનો ટાવર એ શહેર માટે ખુબ મહત્વનો છે. અંગ્રેજોના સમયમાં બનેલો આ ટાવર 2001ના ભૂકંપમાં પડી ગયો હતો. આથી તેને અજરામર ઉપાશ્રય દ્વારા નવો બનાવીને 2003માં ઘડીયાળના ડંકા રણકતા થયા હતા. પરંતુ ત્યાર બાદ અવાર નવાર ઘડીયાળ બંધ થઇ જવાના બનાવો બનતા આવ્યા છે. આવા સમયે હાલ છેલ્લા 3 મહિનાથી ઘડીયાળ બંધ હાલતમાં છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ટાવરમાં જો ઘડીયાળ જ ચાલુ ન હોય તો તેનો કોઇ મતલબ નથી. આથી વહેલી તકે ઘડીયાળ ચાલુ કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે. ટાવર રીપેર કરવા ભાવનગરથી નિષ્ણાંત બોલાવવા પડે ટાવરની ઘડીયાળ રિપેર કરવા માટે જિલ્લામાં કોઇ નિષ્ણાંત છે જ નહીં. ભાવનગરથી પ્રવિણભાઇ ભટ્ટને બોલાવવા પડે છે. આ ઘડીયાળ અગાઉ ચાવી વાળી હતી. પરંતુ ભૂકંપ બાદ નવા બનાવેલા ટાવરમાં ઈલેક્ટ્રિક ઘડીયાળ બનાવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

દરોડો:સરકારી પડતર જમીનમાંથી બ્લેકટ્રેપનું ખનન કરનારા 12 શખસને રૂ. 99.67 કરોડ દંડ

સાયલા તાલુકાના વાટાવચ્છ ગામ સીમ જમીન વિસ્તારોમાં બાતમીના આધારે દરોડો કરી સાયલા પોલીસે રેડી કરી હતી. આકસ્મિક તપાસ કરતા સ્થળ પર ખાડામાં અલગ અલગ જગ્યાએ કુલ 4 એક્સકેવેટર મશીનને બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરતા જોવા મળેલા. આ ખાડામાં કુલ 11 ડમ્પરો જોવા મળેલ જે પૈકી 4 ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનીજ ભરેલા હતા. તથા એક ડમ્પર ખરાબ હાલતમાં ખાલી જોવા મળ્યું હતું. જ્યારે 3 ડમ્પર (બ્લેકટ્રેપ ભરેલ)ને રોડ પરથી પકડવામાં આવ્યા હતા. ડમ્પર જે સ્થળેથી ભરવામાં આવેલા તે સ્થળ ઉપર લાવવામાં આવેલા. કુલ 14 ડમ્પર તથા 4 એક્સકેવેટર મશીન સહિત રૂ. 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ ખાણકામવાળા ખાડાની બાજુમાં બીજા ખાડામાં એક્સ્પ્લોજીવનો જથ્થો ચાર્જ કરેલો હોવાનુ જોવા મળતા ચકચાર ફેલાઇ હતી. ત્યારે ખનીજ વિભાગ આ અંગે કાર્યવાહી કરીને લીઝધારક ખીમાભાઈ વસ્તાભાઇ પટેલ સહિત કુલ 12 શખસોને કારણદર્શક નોટીસ ફટકારતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી. જેમાં સમાધાન પેટે વસુલવાપાત્ર રકમ કુલ રૂ. 99,67,54,434 બાબતે નોટીસ ફટકારી હતી. આ બાબતે તમામ શખસોને તા. 24-12-2025ના રોજ ખનીજ કચેરીએ હાજર રહી જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ઘરબાયેલું છે. આથી જિલ્લાના ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન કરે છે. પોતાની તિજોરી ભરવા માટે સરકારી તિજોરીને નુકસાન કરે છે. 25મીએ હાજર ન રહેતો એક તરફી કાર્યવાહી થાયખનીજ ચોરીના કેસમાં જેટલા ખનીજની ચોરી થઇ હોય તેના મુજબ દંડ ભરવા માટે કારણ દર્શક નોટીસ આપવામાં આવે છે.જેમાં વ્યકિતએ ખનીજની ચોરી કરી છે કે નથી કરી,જો નથી કરી તો તેના કારણો ખનીજ અધિકારીઓને જણાવવાના હોય છે.જ આપેલી તારીખે હાજર ન રહે તો એક તરફી કેસ ચલાવીને આરોપી સામે કાર્યવાહી થઇ શકે છે. > હિરેન મહેતા, વકીલ

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

9 કરોડના ખર્ચે ટાઉનહોલનું નવિનીકરણ:2 માળનું બિલ્ડિંગ બનશે, એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે

સુરેન્દ્રનગર શહેરમાં વર્ષો પેહેલા એક માત્ર ટાઉનહોલ હતો. જ્યાં લોકો પોતાના કાર્યક્રમો કરતા હતા.પરંતુ આજે આ ટાઉનહોલ જર્જરિત બની ગયો છે. ત્યારે મનપા રૂ.12 કરોડના ખર્ચે ટાઉનહોલ અને બાજુમાં આવેલી લાઇબ્રેરીનો વિકાસ કરશે. શહેરમાં ખૂબ મોકાની જગ્યાએ અને અનેક લોકોને ઉપયોગી થઇ શકે તેવો રંભાબેન ટાઉન હોલ આવેલો છે. પરંતુ આ હોલની હાલત ખૂબ ખરાબ છે આથી બંધ કરી દેવામાં આવ્યો છે. આવા સમયે મનપાએ રૂ.9 કરોડના ખર્ચે ટાઉનહોલ અને રૂ.3 કરોડના ખર્ચે લાઇબ્રેરીનો વિકાસ કરવાનું આયોજન કર્યું છે. ટાઉન હોલમાં લોકોને બેસવા માટે 350 સીટ હશે. બિલ્ડિંગ 2 માળનું બનાવવામાં આવશે. ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. અંદાજે 15 દિવસમાં ટાઉનહોલ પાડવાની કામગીરી ચાલુ થશે ત્યાર બાદ એકાદ વર્ષમાં કામ પૂર્ણ કરાશે. વર્ષો પહેલા શહેરમાં આ એક માત્ર ટાઉન હોલ હતો ત્યારે આ હોલમાં કાર્યક્રમ કરવો તે ગૌરવની બાબત કહેવામાં આવતી હતી. ત્યારે હવે આ ટાઉનહોલ નવા રંગરૂપ સાથે તૈયાર કરાશે. 3 મહિના પહેલાં બુકિંગ કરાવી શકાશેહોલનું ભાડુ તૈયાર થયા બાદ નક્કી થશે ઓફલાઇન અને ઓનલાઇન બુકિંગ થશે3 મહિના અગાઉ બુકિંગ કરાવી શકાશે બુકિંગ સમયે તમામ પૈસા ભરવા પડશે. વેબસાઇટ બનાવી પુસ્તકો અપલોડ કરાશેલાયબ્રેરીમાં વર્તમાન સમયે જે પુસ્તકો છે તે તમામ પુસ્તકોની વેબસાઇટ બનાવાશે અને અપલોડ કરાશે. જેને વિદ્યાર્થીઓ ઓનલાઇન પણ વાંચી શકશે. અને લાઇબ્રેરીમાં ફ્રી વાઇફાઇની પણ સગવડતા રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:...36 તળાવોમાં 3000 પાકા મકાન, 400 દુકાનો, 100 ધાર્મિક સ્થળ, કારખાના, સોસાયટી, ઝુંપડાઓ

અમદાવાદમાં કુલ 156 તળાવો છે જેમાંથી 110 મ્યુનિસિપલ કોર્પોરેશન અને બાકીના કલેક્ટર કચેરી હસ્તક છે. શહેરમાં 36 તળાવો એવા છે જેમાં ગેરકાયદેસર 3 હજારથી વધુ પાકા મકાનો, 400 દુકાન તથા કારખાના અને 100 જેટલા નાના-મોટા ધાર્મિક સ્થળો નિર્માણ પામ્યા છે. છેલ્લા 15 વર્ષમાં શહેરના આ તળાવો પર સિસ્ટમેટિક એન્ક્રોચમેન્ટ થયું છે. આ કારણે વોટર બોડી માટે ગંભીર ખતરો ઊભો થયો છે. ભાસ્કરની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, મ્યુનિ. કમિશનર સમક્ષનાં પ્રેઝન્ટેશનમાં જૂના અને અધૂરા આંકડા રજૂ થઈ રહ્યાં છે. દબાણના આંકડા હકીકતમાં ઘણા વધારે છે. વિશાળ તળાવો હતા ત્યાં હવે ખાબોચિયાએ રહ્યાં નથી. તળાવની જગ્યાએ મોટી સોસાયટી અને ફ્લેટ-બંગલા બની ચૂક્યા છે. કેટલાક તળાવો ગટરના પાણીથી પ્રદૂષિત, લીલ અને દુર્ગંધના કારણે આરોગ્યની દૃષ્ટિએ ખતરારૂપ બન્યા છે. ક્યાંક તળાવના પાણી સુકાયાં છે એટલે બોરવેલ બનાવી પાણી ભરવાનું શરૂ કરાયું છે. શહેરના તળાવો ખરેખર વરસાદી પાણીના સંગ્રહ માટે હતાં, પરંતુ આજે ખાબોચિયા,ડમ્પિંગ સાઈટ અને ક્યાંક ધંધાકીય હબ બની ચૂક્યાં છે. આ તળાવો 100% સુધી દબાણ હેઠળ છે. સ્થાનિકોની માહિતી મુજબ આ વિસ્તારો ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થોની હેરફેર માટે જાણીતા બન્યા છે. અહીં રહેતા લોકો પાસે આધાર કાર્ડ, મતદાર કાર્ડ, વિજળી બિલ, મ્યુનિ. ટેક્સ બીલ જેવા ઓળખ કાર્ડ ઉપલબ્ધ છે. વોટર બોડી પર એક માત્ર સરકારની માલીકી હોય છે તો આ લોકો પાસે જગ્યાના પાકા પુરાવા કેવી રીતે આવ્યા તે તપાસનો વિષય છે. રાજકીય દબાણોથી તળાવો મરણ પામી રહ્યાં છે. ...સરકારી ચોપડે જેટલા દબાણો છે હકીકતમાં તેનાં કરતા ઘણા વધારે મામા તલાવડી, રામોલ: દબાણ થયેલ જગ્યા (ચો.મી) 17,399/11,000 (63%) પઝેશન કોની પાસે કલેક્ટરકાચા-પાકા મકાન 30 કાચા, 75 પાકાકોમર્શિયલ બાંધકામ 25 કાચા, 40 પાકાધાર્મિક બાંધકામ 4 પાકા નવન તલાવડી, વટવા: દબાણ થયેલ જગ્યા (ચો.મી) 22,967/17,928 (78%) પઝેશન કોની પાસે AMCકાચા-પાકા મકાન 500 પાકાકોમર્શિયલ બાંધકામ 135 પાકાધાર્મિક બાંધકામ 1 પાકું કોયલુ તળાવ : દબાણ થયેલ જગ્યા (ચો.મી) 20,892/16456 (74%) પઝેશન કોની પાસે કલેક્ટરકાચા-પાકા મકાન 531 પાકાકોમર્શિયલ બાંધકામ 238 પાકાધાર્મિક બાંધકામ 5 પાકા સુન્થલ તળાવ, દાણીલીમડા : દબાણ થયેલ જગ્યા (ચો.મી) 33,857 પઝેશન કોની પાસે કલેક્ટરકાચા-પાકા મકાન 400 પાકાકોમર્શિયલ બાંધકામ 140 પાકાધાર્મિક બાંધકામ- મલકાની તળાવ, સરખેજ : દબાણ થયેલ જગ્યા (ચો.મી) 25,900/13,000 (50%) પઝેશન કોની પાસે કલેક્ટર કાચા-પાકા મકાન 155 કાચા, 235 પાકાકોમર્શિયલ બાંધકામ 70 પાકાધાર્મિક બાંધકામ 3 પાકા નવું તળાવ, વેજલપુર: દબાણ થયેલ જગ્યા (ચો.મી) 16,103/14,000 (87%) પઝેશન કોની પાસે કલેક્ટરકાચા-પાકા મકાન 100 કાચા, 310 પાકાકોમર્શિયલ બાંધકામ 65 પાકાધાર્મિક બાંધકામ 3 પાકા અમદાવાદ મ્યુનિ. ની માર્ગદર્શિકાનો અમલ કાગળ ઉપરતળાવોની જાળવણી માટે અમદાવાદ મ્યુનિ. એ માર્ગદર્શિકા બનાવેલી છે, જેની અમલવારી માત્ર કાગળ પર છે. ઝોન સ્તરે અઠવાડિયે ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં સંલગ્ન વિભાગોની રિવ્યુ મિટિંગ યોજવાની છે અને રિપોર્ટ મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂ કરવાનો છે, પરંતુ વાસ્તવમાં તેમ થતું નથી. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં અમલવારી નથીગેરકાયદે દબાણો દૂર કરવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરેલી છે. 2022ની એક રિટ પિટીશનની સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નદી, તળાવ અને અન્ય જાહેર પાણી-જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે સરકાર સીધી કાર્યવાહી કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Dec 2025 4:00 am

પંચમહાલ સ્કવોર્ડે 15 વર્ષથી ફરાર ચોરીના આરોપીને પકડ્યો:પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયકને કાલોલ તાલુકાના મલવાણ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. પંચમહાલ રેન્જના IGP આર.વી. અસારી અને SP ડૉ. હરેશભાઈ દુધાતે વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચનાના આધારે, પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઈ. બી.એમ. રાઠોડે પરિણામલક્ષી કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત, પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઇ. રૂપસિંહ કલાભાઇને હ્યુમન સોર્સિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સાંતલપુર પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં-64/2010 અને ફ.ગુ.ર.નં.69/2010, IPC કલમ 379, 411, 114 મુજબના ચોરીના ગુનામાં ફરાર આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયક, રહે. મલવાણ કરોલી ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ, હાલ તેના ઘરે હાજર હતો. પોલીસે બાતમીના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયકને મોજે-મલવાણ કરોલી ફળિયું, તા. કાલોલ ખાતેથી શોધી કાઢીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:39 pm

યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવી:શામળાજી મંદિરે 'ઇન્ટેનજીબલ દીપાવલી'ની ઉજવણી કરાઈ

યુનેસ્કો દ્વારા દિવાળી પર્વને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવતા, યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ રોશની અને દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.ગુજરાતમાં દીપાવલી નિમિત્તે ઐતિહાસિક સ્થળોએ દીપોત્સવ અને રંગોળી સાથે ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર અને હરીશચંદ્રની ચોરી ખાતે 'ઇન્ટેનજીબલ દીપાવલી ઉજવણી' કાર્યક્રમ યોજાયો હતો. યુનેસ્કો દ્વારા ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા પર્વ 'દિવાળી'ને તેની 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' (Intangible Cultural Heritage - ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ગૌરવનો વિષય બન્યો છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના પરિણામે જ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ વિશ્વ મંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે. યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ, ગુજરાત રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા રાજ્યભરમાં એક વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો હેતુ ભારતની સાંસ્કૃતિક ઓળખને વિશ્વ સમક્ષ મજબૂત રીતે રજૂ કરવાનો અને આ ગૌરવશાળી ક્ષણને રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો હતો.આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ હજારો દીવા પ્રગટાવીને તથા આકર્ષક રોશની સજાવીને દિવ્ય વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. આ રોશની દ્વારા ભારતીય સંસ્કૃતિના 'પ્રકાશ પર્વ'નો સંદેશ વિશ્વભરમાં ફેલાવવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:36 pm

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 25 ઠરાવો સર્વાનુમતે મંજૂર:ફોરર્ટ્રેક રોડ, કોમ્યુનિટી હોલ અને અંડરબ્રિજ સહિતના 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરી

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 25 ઠરાવો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરીઆજરોજ મહાનગર પાલિકા ખાતે મુખ્ય હોલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં 25 ઠરાવો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ચર્ચાઓ બાદ તમામ વિકાસલક્ષી કામો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતાં. રૂપિયા 59 કરોડ 27 લાખનાં વિકાસના કામોને બહાલી આપવામાં આવી. આ બેઠકમાં અનેક વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી છે. ગઢેચી નદી અને કુંભારવાળા વચ્ચેના રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવાનું કામજેમા હિલપાર્કથી ઓઝ સ્કૂલ અને ઓઝ સ્કૂલથી એન્જીનયરિંગ કોલેજ સુધી PQC રોડ, ગઢેચી નદી અને કુંભારવાળા વચ્ચે આવેલ રેલવે ફાટક આવી છે તેમાં અંડરબ્રિજ બનવવાનું કામ, કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા અને રાજ્યસરકારની સંયુક્તની ગ્રાન્ટ માંથી શહેરની બન્ને વિધાનસભા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા સહિતના કામોને મળી 59.27 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે. 4 અન્ય કામો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યાઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવેલ કે ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમીટી બેઠકમાં 25 ઠરાવો મુકવામાં આવ્યા હતા જે કામોને સર્વાનુમતે મંજુર કરવામા આવ્યા હતા.અને આ સાથે 4 અન્ય કામો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા જેમાં રી.એ કરવાની વિગતો હતી. ભાવનગર મહાનગરના ઐતહાસિક કામોની અંદર આજે સ્ટેન્ડિંગ કમીટીમાં 59કરોડ અને 27 લાખના ખર્ચે સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવી છે. ફોરર્ટ્રેક PQC રોડ બનશેખાસ ભાવનગરની કનેક્ટિવિટી માટે હિલપાર્ક ચોકડી થી ઓઝ સ્કૂલ અને ઓઝ સ્કૂલથી એન્જીનીયરીંગ કોલેજ સુધી ફોરર્ટ્રેક PQC રોડ બનાવવાનું કામ 22 કરોડના ખર્ચે કરવામા આવશે જે ભાવનગરની ન્યુ એન્ટ્રી તરીકે ફેમસ થવાની છે.આ ઉપરાંત ગઢેચી નદી અને કુંભારવાડા રેલવે પાટા પાસે અંડરબ્રિજના કામની મંજૂરી આપવામાં આવી છે જે 22 કરોડ 74 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.જેથી ટ્રાંફિક સમસ્યાનું નિવારણ આવશે.અને લોકો ઝડપથી તેના કાર્યસ્થળ પર પહોંચી શકે તેવી ફેસિલિટી ભાવનગરની અંદર ઉભી થવાની છે. કોમ્યુનિટી હોલ બનશેઆ ઉપરાંત કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયાની ગ્રાન્ટ અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટ માંથી શહેરની બે પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર લોકોને પારાવારીક પ્રસંગો કરવા માટે કોમ્યુનિટી હોલ બનવાના છે.એની પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે રૂપિયા 4 કરોડના ખર્ચે રુવા ખાતે કોમ્યુનિટી હોલ અને ગ્રાઉન્ડ બનશે અને ચિત્રા ખાતે 4 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનવવાનો છે.આ બન્ને કોમ્યુનિટી હોલ બનવાથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને સામાજિક પ્રસંગો કરવા માટે આ કોમ્યુનિટી હોલ આશીર્વાદ રૂપ સાબિત થવાના છે. શહેરમાં જે કામો શરૂ છે તે કામોને ઝડપથી પુરા કરવા સૂચનાઓ આપવામાં આવી છે. અને આ ઉપરાંત જે પણ નવા કામોના આયોજન છે એ આગામી બજેટની અંદર મૂકીને પ્રજાલક્ષી બજેટ બનાવી અને આગામી દિવસોની અંદર જે બજેટના મુદ્દાઓ છે એ પણ તૈયારીઓ માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:06 pm

‘ગાંધીજી પણ એક સમયે દારૂ પિતા થઈ ગયા હતા’:હળવદના ભાજપ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો, કોંગ્રેસે રાજીનામાંની માંગ કરી

સમગ્ર ગુજરાતની અંદર દારૂ સહિતના નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવામાં બે દિવસ પહેલા હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા એક જાહેર કાર્યક્રમની અંદર દારૂ અને જુગારને લઈને ટીપણી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેમણે એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જેમાં કુસંગત વિશે વાત કરતા મહાત્મા ગાંધીજી પણ દારૂ પિતા હતા તેવો શબ્દ પ્રયોગ કર્યો છે. ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂકીને મોટો વિવાદ જગાવ્યો છે. તેમણે ખરાબ સંગત (કુસંગત) વિશે વાત કરતાં એવો શબ્દપ્રયોગ કર્યો હતો કે, ખરાબ સંગતને કારણે ગાંધીજી પણ એક સમયે દારૂ પીતા થઈ ગયા હતા. મહાત્મા ગાંધીજી વિશેના આ આપત્તિજનક નિવેદનને કારણે મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 12:55 મિનિટના વિડીયોમાં પ્રકાશ વરમોરાએ 3:20 મિનિટ બાદ ગાંધીજીનો ઉલ્લેખ કરીને આ નિવેદન આપ્યું છે, જે આ મુજબ છે : “ આજથી 10 દિવસ પહેલા ધ્રાંગધ્રામાં અલૌકિક પ્રાણપ્રતિષ્ઠામાં ગયો હતો. ત્યાં ધર્મસભા મતથી વિષય મુક્યો હતો તેને જુદી રીતે મુકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અનંત કોટિ બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે. માણસ પોતાની ચેતના વધારે તો કોઈપણ મોહનમાંથી મહાત્મા બની શકે છે. જન્મ સમયે બધા મહાપુરુષો-દિવ્ય પુરુષો આપના જેવાં જ હોય છે. પણ સંગદોષના કારણે ક્યાંકને ક્યાંક ખોટા વિષયમાં આવી જાય અને પરિણામે તેનું ચારિત્ર્ય વિશ્વકક્ષામાં ચમકવાના બદલે અને પૂજનીય-વંદનીયનો ભાવ લોકોને આવે એના બદલે એક સીમિત ભાવમાં રહી જતાં હોય છે. આ સહજ વિષયને મેં ત્યાં સ્પીચના માધ્યમથી મૂક્યો હતો, કે ચાર પ્રકારના માનવ હોય - રાક્ષસ માનવ, પશુ માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. રાક્ષસ માનવ પાછળ મારે કહેવાની વાત હતી કે આપણામાં અહંકાર ભાવ, ઈર્ષ્યા ભાવ, દ્વેષ ભાવ આવે, કોઈ અભક્ષ્ય ખોરાક ખાવાનું મન થાય, માંસાહાર કરવાનું મન થાય, તો આ બધુ રાક્ષસ માનવ કહેવાય. રાક્ષસ માનવને જકોઈ સિંગડા નથી ઊગ્યા હોતા, આપણો ભાવ ક્યાંક ખરાબ થાય, ત્યારે અહંકાર આવે. અહંકાર જ્ઞાનનો હોય, પૈસાનો હોય, પદનો હોય, કોઈપણ અહંકાર આવ્યો, તો એટલી સેકેન્ડ માટે આપણે રાક્ષસ માનવ થયા. પછી આપણે આપણી વાતને દિન-હીન-લાચાર સમજીએ કે હવે આપણાથી શું થાય? તો આ થયું પશુ માનવ. ખાલી પેટ માટે જીવે, સમાજને કાઈ નુકસાન નથી પહોંચાડતા અને કોઈ ફાયદો નથી પહોંચાડતા. એન એનાથી ઉપર હોય છે દેવ માનવ - દિવ્ય માનવ. જે ધીર-વીર-ઉદાર હોય છે, પ્રેમાળ-કૃપાળુ-કરુણાવાન-કલ્યાણકારી-મંગલકારી હોય છે. આ જે માણસની ઉન્નતિ કરવાની હોય છે, એમ આહારનું બહુ મોટું મહત્ત્વ હોય છે. એટલે મારો એટલો જ વિષય હતો કે સમાજના જે પ્રતિષ્ઠિત માણસો છે, તે ઉધ્યોગપતિ, રાજનેતા, ડૉક્ટર કે વકીલ ભલે હોય, કોઈ પણ માણસ પ્રતિષ્ઠિત માણસ હોય, આ પ્રતિષ્ઠિત માણસે એવો કોઈ આહાર ન કરવો જોઈએ કે જેનાથી તેની ચેતના વધાને બદલે સીમિત થઈ જાય. વિષય મારો એટલો હતો કે છેલ્લે આપણે બધા માણસ છીએ. સંગદોષના કારણે ગમે તેવો સારામાં સારો મણસ હોય, મહાત્મા ગાંધીજી પણ એક વાર દારૂ પિતા થઈ ગયા હતા. તો આત્મચિંતન ઉપવાસ કરી આપણી અંદર રહેલી ભાવશુદ્ધિ કરી લેવાની.” મોરબી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી રાજીનામું માંગ્યુંધારાસભ્ય પ્રકાશ વરમોરાના આ બફાટના વિરોધમાં મોરબી શહેર કોંગ્રેસની ટીમે તુરંત વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. કોંગ્રેસના કાર્યકરોએ નગર દરવાજા ચોક પર ધારાસભ્ય પ્રકાશ વરમોરા જાહેરમાં માફી માંગે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી આકરી નારેબાજી કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સુરી, મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસનો સવાલ : ગાંધીજીનું અપમાન કોણ કરે છે?મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ મુદ્દે ભાજપ સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીને સીધો સવાલ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે ટીપ્પણી કરી ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેને ગાંધીજીનું અપમાન ગણાવ્યું હતું. જાડેજાએ સવાલ ઉઠાવ્યો કે, જો કોંગ્રેસના નેતાની ટીપ્પણી ગાંધીજીનું અપમાન હોય, તો હાલમાં ભાજપના પોતાના જ ધારાસભ્ય દ્વારા ગાંધીજી દારૂ પીતા હતા તેવું જે નિવેદન આપવામાં આવે છે, તે શું ગાંધીજીનું અપમાન નથી?

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:01 pm

ONGC સાથે 67 લાખની છેતરપિંડીમાં ત્રણ આરોપીને 14 વર્ષે સજા:CBI કોર્ટે ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો, વર્ષ 2011માં CBIમાં ફરિયાદ નોંધાઈ હતી

ONGCમાં માલની ખોટી ડિસ્પેચ બતાવી 67 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2011માં 67 લાખની ઠગાઈ આચરનાર ત્રણ આરોપીઓ સામે CBI માં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં CBI કોર્ટે ઠગાઈ આચરનાર ત્રણ આરોપીઓને ત્રણ ત્રણ વર્ષની કેદ અને 30- 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓએ પરચેઝ ઓર્ડર મુજબ ONGCમાં સમય મર્યાદામાં માલ નહીં પહોંચાડી બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી રકમ ખોટી રીતે મેળવી લીધા હોવાનું પુરવાર થાય છે. CBI કોર્ટે ત્રણને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યોકોર્ટે ત્રણેય આરોપીને ગુનેગાર ઠરાવતા નોંધ્યુ હતું કે, આ કેસના સંજોગો જોતાં પ્રોબેશનનો લાભ આપવાનું વ્યાજબી અને ન્યાયી જણાતુ નથી. આ કેસમાં હજુ મેસર્સ ડેટ નોર્સ્કે વેરિટાસના સર્વેયર આરોપી ભાવિન પટેલ નાસતા ફરતા છે. જેથી કોર્ટે આરોપી અતુલ નારણભાઈ પંચાલ, મહેન્દ્રસિંહ પી. વાઘેલા અને ઘનશ્યામ રામબ્રિચ પાંડેને ત્રણ ત્રણ વર્ષની કેદ અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2011માં ONGC સાથે 67 લાખની ઠગાઈસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 22 જૂન 2011ના રોજ મેસર્સ નેશનલ મશીન ટૂલ્સના પ્રોપરેટર નારણ પંચાલ સામે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. જેમાં અતુલ નારણભાઈ પંચાલ અને ONGC મુંબઈના અજાણ્યા અધિકારીઓ અને અજાણ્યા અન્ય લોકો સામે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપ છે કે આરોપી અતુલ નારણભાઈ પંચાલે, મેસર્સ ઓએનજીસીના અજાણ્યા અધિકારીઓ અને અજાણ્યા અન્ય લોકો સાથે ષડયંત્ર રચીને 1 જૂન 2011ના રોજ મેસર્સ ONGC લિમિટેડ પાસેથી છેતરપિંડી અને અપ્રમાણિકપણે 67,58,938 રૂપિયાની ચુકવણી મેળવી હતી. CBI કોર્ટે ત્રણ આરોપીને સજા સાથે દંડ ફટકાર્યોજેની તપાસ કરતા સામે આવ્યું હતું કે 29 એપ્રિલ 2011ના રોજ માલની ડિસ્પેચ ખોટી રીતે બતાવી હતી અને ખરીદી ઓર્ડરની શરતો અને નિયમો અનુસાર ચુકવણી માટે પાત્ર ન હતા. જેથી ONGC લિમિટેડ સાથે છેતરપિંડી થઈ હતી. CBIએ આ મામલે તપાસ કરીને 27 ડિસેમ્બર 2011ના રોજ આરોપી અતુલ નારણભાઈ પંચાલ, ભાવિન પટેલ, મહેન્દ્રસિંહ પી. વાઘેલા અને ઘનશ્યામ રામબ્રિચ પાંડે સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ ચાલતા CBI કોર્ટે ત્રણ આરોપીને ગુનેગાર ઠરાવીને ત્રણ ત્રણ વર્ષની કેદ અને દરેક આરોપીને 30-30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:37 pm

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવતો જ્વેલર્સ સંચાલક કોર્ટના વોરંટનો ફરાર આરોપી નિકળ્યો, પોલીસે ઝડપી પાડ્યો

વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવાન પાસે વ્યાજખોર જ્વેલર્સ દ્વારા 60%ના ઉચ્ચ દરે વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી થયાની પોલીસમાં જાણ થતા આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ બનાવમાં શહેરના કોઠારિયા રોડ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં કોઠારિયા ગામથી આગળની બાજુએ રહેતા પિન્ટુભાઈ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23) દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કિરીટભાઈ પ્રભુદાસભાઈ ફિચડિયાનું નામ આપ્યું હતું.ઈલાજ કરવા રૂપિયાની જરૂર પડતા તેણે મિત્રને દશેક હજાર ઉછીના આપવા કહ્યું હતું ત્યારે તેના મિત્રે શ્રીજી જ્વેલર્સવાળા કિરીટભાઈ ફિચડિયા વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવતા તેણે આકિરીટભાઈ પાસેથી કટકે કટકે રૂ.20 હજાર 60 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા. જોકે પઠાણી ઉઘરાણી અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ વોરંટના ગુનામાં નાસતો ફરતો આરોપી હતો. જેને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે અને આજીડેમ પોલીસને સોંપ્યો છે. હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી ફરાર શખ્સ ઝડપાયો ચોટીલાની હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી ફરાર થઇ જનાર કાચા કામના કેદીને રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આજી જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે હકીકત મળી હતી કે, ત્રણ વર્ષ પૂર્વે તરણેતરના મેળા સમયે પીકઅપ વાહનમાં પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થતાં ત્રણ આરોપીઓએ પીકઅપ ચાલક દેવરાજભાઈ ઘુઘાભાઈ સોલંકીને ઈંટના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી.જે મામલે ચોટીલા પોલીસ મથકમાં ખૂનનો ગુનો દાખલ થયો થયેલ હતો.જે ગુનામાં સુરેન્દ્રનગર સબ જેલનો કાચા કામનો આરોપી વિજય ઉર્ફે વીજલો નાથા સોલંકી વચગાળાના જામીન મેળવી છેલ્લા ચાર માસથી ફરાર છે અને હાલ તે રાજકોટની જીઆઇડીસીમાં છે. જેથી આજીડેમ વિસ્તારના આનંદનગર ખાતેથી વિજય ઉર્ફે વિજલો નાથા સોલંકીની ધરપકડ કરી હતી. કોઠારીયા સોલ્વેન્ટ પાસે યુવાન પર લોખંડના સળિયાથી હૂમલો નટવરભાઈ દિનેશભાઈ કુંવરિયા (ઉં.વ. 30, રહે. ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર, જામનગર રોડ, રાજકોટ) ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યે ગોંડલ રોડ કોઠારીયા સોલવંટ ફાટક પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા માણસોએ ઝઘડો કરી લોખંડના સળિયા વડે માર મારતા અર્ધબેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતા માર મારનાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બસપોર્ટના ગેટ પાસે 2 રિક્ષા ચાલક વચ્ચે મારામારી એસટી બસપોર્ટના ગેટ પાસે બે રીક્ષાચાલકો સાંજના સમયે જાહેરમાં લાકડી વડે મારામારી પર ઉતરી આવતાં એસટી ચોકીના પીએસઆઈની ફરિયાદ પરથી પોલીસે બંને સામે જાહેરમાં બખેડો કરવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇએ ફરિયાદી બની રીક્ષા ચાલક ઈરફાન ગફારભાઈ ચૌહાણ (ઉ.વ. 39 રહે. ભગવતીપરા મેઇન રોડ) અને સુભાષ ઓધવજીભાઈ અઘેરા (ઉ.વ. 28 રહે. વચ્છરાજનગર શેરી નંબર-1, રણુજા મંદિર સામે કોઠારીયા મેઇન રોડ) વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:33 pm

કેન્દ્રીય વિદ્યાલયના સેક્રેટરીએ રૂ.23.83 લાખની છેતરપીંડી આચરી:રાજકોટની નામાંકિત સ્કૂલમાં સિનિયર સેક્રેટરીએ શિક્ષક - પ્રિન્સિપાલની ખોટી સહીઓ કરી નાણા ઉપાડી લીધા

શહેરના કાલાવડ રોડ પરની કેન્દ્રીય વિદ્યાલયના સેક્રેટરીએ રૂ.23.83 લાખની છેતરપીંડી આચરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. સીનીયર સેક્રેટરી દેવેન્દ્ર ગણાત્રાએ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકની ખોટી સહીઓ કરી રૂપીયા ટ્રાન્સફર કરી લીધા અને બાદમાં બેંકની ભૂલ થયાનું જણાવી ગેરમાર્ગે પણ દોર્યા હતા. જોકે બેંક સાથેના વેરિફિકેશનમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને સ્કૂલના સિનિયર સેક્રેટરીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતુ. બનાવ અંગે કાલાવડ રોડ પર પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસમાં આચાર્ય આવાસમાં રહેતાં ગંગારામ મીણા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દેવેન્દ્ર ગણાત્રાનું નામ આપ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં ગત તા. 05 સપ્ટેમ્બર, 2022 થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓની સાથે સીનીયર સેક્રેટરી આસિસ્ટન્ટ તરીકે દેવેન્દ્ર ગણાત્રા ફરજ બજાવે છે. તેઓના ત્રણ બેંક એકાઉન્ટ આવેલ છે. તે તમામ ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો કરવા માટે તેઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલાયમા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ઇંગ્લીશ) તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ પરમારની સાથે સહીઓ થતી હોય છે. જે બાદ દેવેન્દ્ર ગણાત્રા તમામ નાણાકીય વ્યવહારો કરે છે. શાળામા એક ચેક ઇસ્યુ રજીસ્ટર પણ નીભાવવામા આવે છે. જે રજીસ્ટરમાં તેઓની તેમજ જેને ચેક બનાવેલો હોય તેની સહીઓ તેમજ તે રજીસ્ટરમા ચેક નંબર, તારીખ, રકમ, બેંકનુ નામ, જેને ચેક આપેલ છે તે પાર્ટીનું નામ, ચેક આપવાનો હેતુ, કયા વિભાગમાં ખર્ચ કરેલ છે તે તથા ચેક પોસ્ટમાં મોકલેલ હોય તેની વિગત, સહીઓ સહિતનુ રજીસ્ટર નીભાવવાનુ કામ પણ આ દેવેન્દ્ર ગણાત્રાનુ છે. જોકે આ દરમિયાન અમદાવાદની રીઝનલ ઓફીસ અમદાવાદથી ગત તા.21 ના ફોન આવ્યો હતો કે, તમારા બેંક ખાતામા મોટા પ્રમાણમા પૈસાની ટ્રાન્સફર થાય છે. તે અંગે ચેક કરવાનુ કહેતા આ બાબતે દેવેન્દ્ર ગણાત્રાને પુછતા તેઓએ લેખીતમાં એક પત્રમા જણાવેલ કે, તેણે પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સીને ઓક્ટોમ્બર-2025 મા પૈસા ટ્રાન્સફર કર્યા છે. જે બાદ જણાવ્યુ કે, આ ટ્રાન્જેક્શન બેંકની ભુલના કારણે થયેલ છે અને તે અંગે બેંકના સ્ટેમ્પ વાળો લેટર વોટસઅપમાં મોકલેલ હતો. જેથી કાલાવડ રોડ પરની યુનીયન બેંક ખાતે ખરાઈ કરવા પત્ર લખતા લેખીતમાં જણાવેલ કે, ટ્રાન્જેકસન ડીટેલ્સ ખોટી હોવાનુ તેમજ બેન્કની અધિકૃત નકલ ન હોવાનુ જણાવેલ હતું. જે બાદ ચેક ઇસ્યુ રજીસ્ટર તથા બેંક ખાતાના સ્ટેટમેન્ટ જોતા જાણવા મળેલ કે,પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સી નામની પેઢી કે જેને શાળાએ કોઈ કામ કરાવેલ ન હોય, કોઈ ટેન્ડર કે કોઈ વર્ક ઓર્ડર આપેલ નથી છતાં તેના બેંક ખાતામા રૂ. 11,83,839 ટ્રાન્સફર થયેલા છે. જેથી આ બાબતે શાળાના વિદ્યાલય પ્રબંધન કમીટીના અધ્યક્ષ કલેક્ટર હોય તેમને આ બાબતની જાણ કરી હતી. શાળાના બેંક ખાતામાથી તેમજ ઇસ્યુ કરેલ ચેકની નકલો તેમજ સાથે આપવામા આવતી બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી)નુ લીસ્ટ મંગાવતા અને તેને ચેક ઇસ્યુ રજીસ્ટર સાથે સરખાવતા ચેકમા છેડછાડ તેમજ બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી) ફરીયાદીની તેમજ ગૌતમભાઈ પરમારની ખોટી સહીઓ કરી અને રૂ.23.83 લાખ નાણા ટ્રાન્સફર કર્યા અંગેનુ ધ્યાન પર આવેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. વધુમાં જાણવા મળતી વિગત મૂજબ, કેન્દ્રીય વિદ્યાલય સાથે છેતરપીંડી આચરવાના ગુનામાં આરોપી પોતાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો હતો. જેમાં તે ચેકમાં આંકડા લખવામાં જગ્યા રાખતો હતો અને આચાર્ય સહિતના લોકોની સહી થયા બાદ મોટી રકમ ભરી દેતો અને બાદમાં મોટી રકમ ભરી પૈસા ઉપાડી લેતો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:12 pm

નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈનો કેસ આરોપી હર્ષલ લહેરીની ધરપકડ:કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, હર્ષલે મુખ્ય આરોપી પ્રકાશને 30 બેંક એકાઉન્ટ આપ્યા હતા

શહેરના એસ.જી. હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં થયેલી 5 કરોડ રૂપિયાની મોટી ઉચાપતના મામલે સોલા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે આરોપી હર્ષલ સુરેશચંદ્ર લહેરીને ઝડપી લીધો છે અને કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે નિરમા યુનિવર્સિટીએ પોતાના કર્મચારી સહિત કુલ 7 શખસો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી હર્ષલ લહેરીએ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરને આશરે 30 જેટલા બેંક એકાઉન્ટ આપ્યા હતા, જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે. કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો?સરકારી વકીલ એસ.એમ. શેખે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ કયા-કયા લોકો સાથે સંપર્ક કર્યો છે, કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો છે, તેમજ ઠગાઈની રકમ કોના-કોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. આ ઉપરાંત, ફેક આઈડી અને નકલી દસ્તાવેજોના ઉપયોગ અંગે પણ તપાસ કરવી જરૂરી હોવાનું રજૂ કરાયું હતું. આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશબીજી તરફ, આરોપી પક્ષે દલીલ કરી હતી કે આરોપી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને રિમાન્ડની જરૂર નથી. જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસની માગ સ્વીકારી અને આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ, સિમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતના મહત્વના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:05 pm

અમદાવાદમાં કફ સિરપનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી:8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ખુલાસો માગ્યો

રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદમાં વિવિધ 8 જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે. આ મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહીડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતાં આ 8 મેડિકલ સ્ટોર્સ પૈકી 5 મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં કફ સીરપ દવાનું વેચાણ કરવામાં આવતું હતું. બાકીના અન્ય 3 મેડિકલ સ્ટોર્સ પૈકી 2 મેડિકલ સ્ટોર્સ ખાતે રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હાજર હતા અને કફ સીરપ દવાનું વેચાણ કરતાં હતા. જ્યારે બાકીના 1 મેડિકલ સ્ટોર્સ તપાસ સમયે બંધ માલૂમ પડયા હતા. 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસઆથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપીને તાત્કાલીક ખુલાસો કરવાં જણાવવામાં આવ્યું છે. મેડિકલ સ્ટોર્સના ખુલાસા આવ્યા બાદ તંત્ર દ્વારા નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ શખ્સો વિરુદ્ધ કાર્યવાહીરાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા સમયાંતરે રાજ્યમાં આવેલા મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવે છે. તેમજ રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરી, એક્ષપાયર્ડ-ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર વેચાતી કફ સિરપ, એમ.ટી.પી. કીટ તથા અન્ય ક્ષતીઓ બાબતે સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:03 pm

એન.ડી. સાયન્સ કોલેજ સીલ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ:માધવાણી કોલેજના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ

પોરબંદર શહેરની એન.ડી. સાયન્સ કોલેજને ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. કોલેજ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેનાથી સેંકડો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. મહાનગરપાલિકા કમિશ્નર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોલેજ બિલ્ડિંગ જોખમી હોવાથી તેના સ્ટેબિલિટી રિપોર્ટ માટે સંસ્થાને અગાઉથી સૂચના આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા રિપોર્ટ ન અપાતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમણે ઉમેર્યું કે વૈકલ્પિક વ્યવસ્થા કરવી એ સંસ્થાની પ્રાથમિક જવાબદારી છે અને સીલ કરતા પહેલા પણ સંસ્થાને જાણ કરાઈ હતી. જોકે, કોલેજ સંચાલકોએ મહાનગરપાલિકાના આ દાવાઓને નકારી કાઢ્યા છે. કોલેજના પ્રિન્સિપાલ અને સંચાલકો અનુસાર, પાલિકાએ કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના કોલેજને સીલ કરી દીધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે મહત્વના દસ્તાવેજો હજુ પણ કોલેજમાં જ તાળાબંધ છે. સીલની કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી.એ આ મામલે ટ્રસ્ટીઓ અને મહાનગરપાલિકા કમિશ્નરને મળીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. એ.બી.વી.પી.એ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્રણ દિવસમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આ દરમિયાન, નવયુગ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રમાબેન રાયઠઠાએ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ન આવે તે માટે તાત્કાલિક માધવાણી કોલેજના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે આવતીકાલથી નિયમિત શિક્ષણ કાર્ય ફરી શરૂ કરી દેવામાં આવશે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી અને પૂર્વ નોટિસ વિનાના સીલને કારણે વિદ્યાર્થીઓ ચિંતિત છે. આગામી દિવસોમાં કોલેજની સ્થાયી કે તાત્કાલિક વ્યવસ્થા કેવી રીતે અમલમાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:43 pm

બોટાદ જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડાના જનડા ગામે યોજાયું:20 પ્રાથમિક, 15 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ 'સ્ટેમ' વિષય પર પ્રયોગો રજૂ કર્યા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે બોટાદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડા તાલુકાના જનડા ગામે યોજાયું હતું. જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બોટાદના ઉપક્રમે આ ત્રણ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બોટાદ જિલ્લાની 20 પ્રાથમિક અને 15 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ' વિષયને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો, મોડેલો અને વિચારો રજૂ કર્યા હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. ભરતભાઈ વઢેર, ગઢડા મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. વિક્રમસિંહ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. પ્રભાતસિંહ મોરી અને જનડા ગામના સરપંચ લાલજીભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અન્ય શિક્ષણ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:39 pm

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને DEOની બીજી નોટિસ:FRCના ઓર્ડર સામે સ્ટે મળ્યો છે કે તેને લઈને ખુલાસો રજૂ ન કર્યો, DEOએ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બીજી નોટિસ ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી FRCના ઓર્ડર સામે સ્ટે મળ્યો છે કે નહીં તેની સ્પષ્ટતા કરવા આદેશ કર્યો હતો. જેના માટે સ્કૂલને 7 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. DEOએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલાને બીજી અને અંતિમ નોટિસ ફટકારી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ છતાં સ્કૂલે નિયત સમયમાં જવાબ રજૂ કર્યો નહીં. જેથી અમદાવાદ શહેર DEOએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલાને બીજી અને અંતિમ નોટિસ ફટકારી છે. જો નિયત સમયમાં સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવાની DEOએ તૈયારી દર્શાવી છે. શાળા FRCના ઓર્ડર સામે રિવિજન કમિટીમાં ગઈસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને પાસે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ખુલાસો માંગ્યો છે. શાળા દ્વારા FRC પાસે 39,360 રૂપિયા ફી લેવા માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ FRC એ જેમાં ઘટાડો કરી 22,500 મંજૂર કરી હતી. જે બાદ શાળા FRCના ઓર્ડર સામે રિવિજન કમિટીમાં ગઈ હતી. FRCના ઓર્ડર સામે સ્ટે મળ્યો છે કે તેને લઈને સ્કૂલે ખુલાસો રજૂ ન કર્યોપરંતુ રિવિઝન કમિટીમાં FRCના ઓર્ડર સામે સ્ટે આપવામાં ના આવ્યો હોવા છતાં શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી FRCના નિયમ વિરુદ્ધ ફી લેવામાં આવતી હોવાની DEOને ફરિયાદ મળી હતી. જેથી અમદાવાદ શહેર DEOએ શાળા પાસે રિવિઝન કમિટીમાં FRCના ઓર્ડરના સ્ટે મળ્યો છે કે નહીં નથી મળ્યો તો કોની મંજૂરીથી વધારે ફી લેવામાં આવે છે તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:38 pm

યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દીપાવલી:રાજ્યભરમાં ઐતિહાસિક સ્મારકો પર ઉજવાઇ ‘ઇન્ટેન્જિબલ દીપાવલી–2025’

ભારતના સૌથી ભવ્ય અને વૈશ્વિક રીતે ઓળખાતા પર્વ દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage) યાદીમાં સ્થાન મળતા સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને વિશ્વમંચ પર મળેલી વિશેષ માન્યતાનું પ્રતીક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે કરેલા પ્રયાસોનું આ મોટા પાયે ફળ માનવામાં આવી રહ્યું છે. દીવાળીના સંભવિત અને બાદમાં થયેલા સત્તાવાર સમાવેશને આવકારવા ગુજરાતમાં વિશેષ ઉજવણી ઇંટેન્જિબલ દીપાવલી-2025 યોજાઈ હતી. 33 જિલ્લાઓમાં સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ દીપોત્સવ રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 33 જિલ્લાઓમાં આવેલા મહત્વના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ દીપોત્સવ, રંગોળી, પ્રકાશ સજાવટ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. અડાલજની વાવ, દાંડી કુટિર, એકતા નગર, વડોદરા મ્યુઝિયમ, જામનગર સહિતના સ્થળોએ સ્થાનિક કલાકારોએ પરંપરાગત સંગીત, નૃત્ય અને લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરી. રાજ્યમાં એકરૂપ ઉજવણીનો માહોલ સર્જાયો10 ડિસેમ્બર, 2025ના રોજ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની સૂચના અનુસંધાને સમગ્ર રાજ્યમાં એકરૂપ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત આયોજનથી સ્મારકો દીપક અને લાઈટિંગથી ઝળહળી ઉઠ્યાં. યુનેસ્કો દ્વારા દીવાળીને મળેલું આ વૈશ્વિક સન્માન માત્ર ઉત્સવનું ગૌરવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ઊંડાણભરી ધરોહરને પ્રાપ્ત થયેલો વિશ્વસ્તરીય મુદ્રાંક છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:34 pm

વડોદરા અને કોટ્ટાયમ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે:20 ડિસેમ્બર થી 10 જાન્યુઆરી સુધી સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે વડોદરા મંડળએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અને વધતા ટ્રાફિકને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને કોટ્ટાયમ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09124/09123 વડોદરા – કોટ્ટાયમ સાપ્તાહિક સ્પેશિયલ (08 ફેરા)ટ્રેન નંબર 09124 વડોદરા – કોટ્ટાયમ સાપ્તાહિક સ્પેશિયલ દરેક શનિવારે વડોદરા થી 09.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:00 કલાકે કોટ્ટાયમ પહોંચશે. આ ટ્રેન 20 ડિસેમ્બર, 2025 થી 10 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 09123 કોટ્ટાયમ – વડોદરા સાપ્તાહિક સ્પેશિયલ દરેક રવિવારે કોટ્ટાયમથી 21.00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 06:00 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 21 ડિસેમ્બર, 2025 થી 11 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. ટ્રેન આ સ્ટેશનો પર રોકાશેઆ ટ્રેન બંને દિશાઓમાં સૂરત, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલૂન, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કારવર, કુમટા, મુદ્રેશ્વરા, ભટકલ, મૂકામ્બિકા રોડ, બાયનૂર, કુન્દાપુરા, ઉડિપી, સૂરથકલ, મેંગલોર, કાસરગોડ, કન્નૂર, થાલાસેરી, કોઝિકોડ, તિરૂર, શોનારૂર જંકશન, થ્રિશૂર, અલુવા અને એરનાકુલમ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-2 ટિયર, એસી-3 ટિયર, સ્લીપર કોચ હશે. ટ્રેન નંબર 09124નુ બુકિંગ 12 ડિસેમ્બર, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો આને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:32 pm

સુરેન્દ્રનગરના ધણાદ ગામમાં ઘુડખરનો ત્રાસ:25થી 30ના ટોળામાં આવતા ઘુડખરો ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના ધણાદ ગામમાં ઘુડખરોનો ત્રાસ વધ્યો છે. 25થી 30ના ટોળામાં આવતા ઘુડખરો ખેતરોમાં ઊભા રવિ પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માવઠાના મારથી માંડ બેઠા થયેલા ખેડૂતોએ મોંઘા બિયારણ, દવાઓ અને મજૂરી ખર્ચીને જીરું, વરિયાળી, તલ, ઘઉં અને ચણા જેવા શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે. આ પાકોને ઘુડખરો દ્વારા ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ આ સમસ્યા અંગે ફોરેસ્ટ વિભાગ, ઘુડખર અભ્યારણના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને મંત્રીઓ સુધી વારંવાર રજૂઆતો કરી છે. અગાઉ રેલીઓ અને બેઠકો દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. આટલી રજૂઆતો છતાં તંત્ર દ્વારા ખેતરો સુધી પહોંચેલા ઘુડખરોને સ્થળાંતર કરીને અભ્યારણમાં પાછા મૂકવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોના ઊભા પાકોને સતત નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ સરકાર અને ફોરેસ્ટ વિભાગને આ મામલે ગંભીરતાથી વિચારણા કરીને, સીમ સુધી પહોંચી ગયેલા ઘુડખરોને તાત્કાલિક અભ્યારણમાં મૂકવાની કવાયત શરૂ કરવા માટે ઉગ્ર માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:29 pm

રાજકોટમાં પ્રેમી પંખીડાનો આપઘાત:પરણિત યુવક સગીરાને ભગાડી ગયો, અઠવાડિયા બાદ વતન આવતી બસમાં ઝેરી દવા પી લેતા મોત

રાજકોટના પ્રેમી પંખીડાએ ચાલુ બસમાં ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા પરિણીત યુવાનને સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી સાત દિવસ પૂર્વે યુવાન સગીરાને ભગાડી ગયો હતો અને રાણપુર પોતાના મામાના ઘરે લઈ ગયો હતો. જે બાદ આજે બપોરે બંને ધંધુકાથી જામનગરની બસમાં રાજકોટ આવી રહ્યા હતા પરંતુ પરિવાર એક નહીં થવા દે તેવા ડરથી પ્રથમ યુવકે અને બાદમાં સગીરાએ ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગંજીવાડા શેરી નંબર - 1 માં રહેતા 33 વર્ષીય રવિ ખોડાભાઈ મકવાણાને ઘરની સામે જ રહેતી 17 વર્ષીય સગીરા રાજલ સંજયભાઈ કિહલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરાના પરિવારજન ત્રણ મહિના પહેલા જ ત્યાં રહેવા આવ્યો હતો. યુવાન પરિણીત હોવા છતાં સગીરાના પ્રેમમાં પડ્યો હતો અને બાદમાં એક અઠવાડિયા પહેલા યુવાન સગીરાને ભગાડી ગયો હતો. જે બાદ પ્રેમી પોતાના રાણપુર રહેતા મામાના ઘરે પ્રેમિકાને લઈ ગયો હતો. જ્યાંથી બંને આજે સવારે ધંધુકા - જામનગરની બસમાં બેસી રાજકોટ આવતા હતા. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓ આજીડેમ ચોકડીએ ઉભા હતા. જે દરમિયાન આજીડેમ ચોકડીએ બસ ઊભી રહી અને સગીરાને નીચે ઉતારી તો તે બેભાન થઈ ઢળી પડી હતી. જેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબોએ સગીરાનુ મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. જે બાદ રવિ મકવાણાનો ભાવનગર રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી બંનેએ સજોડે દવા પી આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. સગીરા ગુમ થયાની થોરાળા પોલીસમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હોવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:26 pm

આરબીટ્રેટર ચુકાદો પડકારતી રિટ પિટિશન ગુજરાત હાઇકોર્ટે ફગાવી:ભાગીદારી પેઢીની મિલ્કતોની વહેંચણી મામલે લવાદની નિમણૂંક કરાઇ હતી

ભાગીદારો છૂટાં પડતાં મિલકતો સંદર્ભે સર્જાયેલ વિખવાદો માટેના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે આરબીટ્રેશન (લવાદ)ની નિમણૂંક કરવા અંગે હુક્મ કર્યો હતો. આ હુક્મના પગલે લવાદ તરીકે નિમાયેલાં નિવૃત જસ્ટીસ એ.જી. ઉરેઝી સમક્ષ એક ભાગીદાર નિરવ ભાઉએ લવાદને મિલકતોની વહેંચણી કરવાની સત્તા નહીં હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ મુદ્દાને આરબીટ્રેશને નામંજુર કર્યો હતો. આ હુક્મ સામે ભાગીદાર નિરવ ભાઉએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બંને પક્ષકારોની રજૂઆત બાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના ભટ્ટે આરબીટ્રેશનના નિર્ણય સામેની અરજી ફગાવી દેવાનો હુક્મ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે રિટાયર્ડ જસ્ટિસની લવાદ તરીકે નિમણૂંક કરી હતીકેસની વિગત એવી છે કે અમદાવાદમાં આવેલી બી.ડી. એન્જિનિયર્સ નામની ભાગીદારી પેઢીના નિરવ શિરીષ ભાઉ અને રાજેન્દ્ર રસીકલાલ મહેતા બંને ભાગીદારો હતાં. તેમની વચ્ચે વિખવાદો થતાં તેમણે વર્ષ 2018 માં ભાગીદારી પેઢીનું કામકાજ બંધ કરી કામદારો અને સ્ટાફને પૂરેપૂરું ચૂકવણું કરી છૂટા કરી દીધા હતા અને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પણ નિર્ણય કર્યો હતો. વર્ષ 2021 વર્ષમાં રાજેન્દ્ર મહેતાએ પોતાના વકીલ મારફત અન્ય ભાગીદારને નોટિસ આપી આ મતભેદ, લવાદને સોંપવા માટે જણાવેલ. પરંતુ કોણે લવાદ તરીકે રાખવા તે અંગે નિર્ણય ન થતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં IAAP દાખલ કરેલ જેમાં ભાગીદારોની સંમતિથી વર્ષ 2022માં ગુજરાત હાઇકોર્ટે રિટાયર્ડ જસ્ટિસ એ. જી. ઉરેઝિની લવાદ તરીકે નિમણૂંક કરેલ. ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતીત્યારબાદ લવાદ સમક્ષ નિરવ ભાઉએ આરબીટ્રેશન કાયદાની કલમ 16 હેઠળ એવી અરજી આપેલ કે આ કિસ્સામાં લવાદી કાર્યવાહી ટકી શકે નહીં કારણ કે તા. 1 ઓગસ્ટ 2018ની તારીખથી ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ ગયું છે અને ભાગીદારી પેઢીની મિલકતોની વહેચણી કરવા માટે લવાદને સત્તા નથી; ઉપરાંત ભાગીદારીના કરારમાં ભાગીદારીની મિલકતની વહેંચણીની પ્રક્રિયા લવાદ દ્વારા થઈ શકે તેવી કોઈ જોગવાઈ નથી. આ અરજી રિટાયર્ડ જસ્ટિસ એ. જી. ઉરેઝી 7 જૂન 2023 ના હુકમથી નામંજૂર કરેલ. જે વિરુદ્ધ અરજદારે પોતાના એડવોકેટ મારફતે ભારતીય બંધારણના Articles 226, 227 હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. 'લવાદના આવા ચુકાદાને હાઇકોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી પડકારી શકાય નહીં'સદર કેસમાં પ્રતિવાદી રાજેન્દ્ર રસીકલાલ મહેતાએ પોતાના એડવોકેટ નિમિષ કાપડિયા મારફત વિગતવાર જવાબ દાખલ કરેલ અને રજૂઆત કરેલ કે આરબીટ્રેશન કાયદાની કલમ 5 ધ્યાને લેતાં, જ્યારે લવાદી કાર્યવાહી ચાલુ હોય ત્યારે લવાદના આવા ચુકાદાને હાઇકોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી પડકારી શકાય નહીં. આ અંગેના SBI General Insurance Co.Ltd. Vs. Krish Spinning reported in 2024 INSC 532 ના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલાં ચુકાદાને ટાંકયો હતો. રિટ પિટિશન નામંજૂર કરવાનો હુક્મ કર્યો હતોપક્ષકારોની રજૂઆત બાદ હાઇકોર્ટના જસ્ટિસ મૌના ભટ્ટે અરજદારની રીટ પીટીશન નામંજુર કરવાનો હુક્મ કર્યો હતો. તેમાં નોંધ્યું હતું કે, લવાદી કાર્યવાહી દરમ્યાન આવા હુકમ રિટ પિટિશનમાં પડકારવામાં આવે તો લવાદની સ્વતંત્રતા જોખમાય અને આરબીટ્રેશન કાયદાનો હેતુ જળવાશે નહીં. તેથી રિટ પિટિશન કોર્ટે ડિસમિસ (નામંજૂર) કરવાનો હુક્મ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:26 pm

કોપીરાઇટ કેસમાં સજા પામેલા ફરાર આરોપીને અમદાવાદથી દબોચ્યો:2  વર્ષની સજા પામેલો ફરાર આરોપી કાર્તિક ભટ્ટ અમદાવાદથી પકડાયો: જૂનાગઢ A-ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડ્યો

​જૂનાગઢ પોલીસ રેન્જ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાસતા ફરતા તેમજ સજા થયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના ભાગરૂપે, જૂનાગઢ A-ડિવિઝન પોલીસે તાજેતરમાં એક મહત્ત્વની કાર્યવાહી કરીને સજા પામેલા ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આઇજી નિલેશ જાજડીયા, એસપી ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ A-ડિવિઝન પોલીસે આ કામગીરી કરી હતી.પીઆઈ વિ. જે. સાવજની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા માટે સઘન પ્રયાસો શરૂ કરાયા હતા.આ દરમિયાન જૂનાગઢ A-ડિવિઝન ધી-કોપીરાઇટ એક્ટ 1957 ની કલમ 63, 65 તથા બી.એન.એસ.એસ. કલમ 116(૩)નો ગુનો)માં નાસતો ફરતો આરોપી કાર્તિક વિનોદરાય ભટ્ટ પોલીસ પકડથી બચવા માટે અમદાવાદ જતો રહ્યો હતો અને ત્યાં જુદા જુદા વિસ્તારમાં છુપાયેલો હતો.બાતમીના આધારે, પીઆઈ વિ. જે. સાવજ અને પીએસઆઇ વાય.એન સોલંકીએ A-ડિવિઝન પો. સ્ટે. સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા તથા પો. કોન્સ. નરેન્દ્રભાઈ બાલસે અમદાવાદ થી કાર્તિક વિનોદભાઈ ભટ્ટને ઝડપી પાડ્યો હતો.કોર્ટના હુકમ બાદ આરોપીને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.. ​આ કામગીરીમાં પોપીએસઆઈ વાય.એન સોલંકી, એ.એસ.આઇ ભદ્રેશભાઈ રવૈયા,એ.એસ.આઇ. પંકજભાઈ સાગઠીયા, પો. હેડ કોન્સ. નીલેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ બાલસ,પો.કોન્સ.જયેશભાઈ કરમટા, સુભાષભાઈ કોઠીવાળ,જીગ્નેશભાઈ શુકલ, અનકભાઈ બોઘરા તથા કલ્પેશભાઈ ચાવડાની ટીમ જોડાયેલી હતી

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:22 pm

વટવામાં બિલ્ડરની જમીનમાં ખોટી સહીઓ કરીને છેતરપિંડી આચરી:કોંગ્રેસના કોર્પોરેટરના બે પુત્રો સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી જમીનમાં હેતુ ફેર કરવા માટે ઓર્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારો દ્વારા ખોટી સહી કરી અને રિવાઇઝ NA પરિશિષ્ટમાં બનાવટી સોગંદનામુ રજૂ કર્યું હતું. મરણ જનાર વ્યક્તિના ફોટા અને આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીના બે પુત્રો સહિત આઠ લોકો વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરના બે પુત્રો સહિત આઠ લોકો સામે ફરિયાદ દાણીલીમડા વિસ્તારમાં સહલંબ ટોલનાકા પાસે આવેલી કીર્તિકુંજ સોસાયટીમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર ગુલામ હુસેન કુરેશી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શહેરના વટવા વિસ્તારમાં આવેલી જમીનમાં 1037 ચોરસ વાર જગ્યામાં 10 માર્ચ 2025ના રોજ ઓર્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોમાં બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીના પુત્ર તોસીફ આલમ અને તજમ્મુલ આલમ તિરમીજી સહિતના 8 લોકો દ્વારા વટવાની જમીનમાં રિવાઇઝ એને પ્લાન સબમીટ કરવામાં કુલ જમીનના માપમાં હાલવા ચાલવા સહિતની જગ્યા જાણ બહાર દર્શાવ્યો ઓનલાઇન સબમીટ કર્યું હતું. ફોટા અને આધારકાર્ડનો ઉપયોગ કરીને નકલી સહીઓ કરીપરિશિષ્ટમાં અર્શદ અલી મોમીન નામના વ્યક્તિનું 2024માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં પણ તેના નામની બનાવટી સહયોગ કરી સોગંદનામુ રજૂ કર્યું હતું આ ઉપરાંત તેમના ફોટા અને આધારકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો. બનાવટી સહીઓ કરી અને ડોક્યુમેન્ટ સરકારી કચેરીમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે બિલ્ડર દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:13 pm

નોટબંધીનું કાળું નાણું ખંખેર્યું:મહર્ષી ચોકાસ, અરવિંદ શાહ અને સુનિલ રૂપાણી EDના રડાર પર, 62.52 કરોડના ગોલ્ડ-સિલ્વર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ

સુરતમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે મોટી કાર્યવાહી કરી છે. EDની સ્થાનિક ટીમે મહર્ષી ચોકાસ અને તેમના સાથીદારો વિરુદ્ધ અમદાવાદની સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પ્રોસિડ ઓફ ક્રાઇમ રજૂ કરી છે. 62 કરોડથી વધુની રકમ એકાઉન્ટમાં જમાEDની તપાસમાં સામે આવ્યું છે કે, નોટબંધી દરમિયાન મહર્ષી ચોકાસ, અરવિંદ શાહ અને હિમાંશુ આર. શાહ તથા સુનિલ રૂપાણી સહિતના લોકોએ મળીને 62.52 કરોડની જૂની ડિમોનેટાઇઝ્ડ નોટોને ગેરકાયદેસર રીતે બેન્ક ખાતાઓમાં જમા કરાવી હતી. મહર્ષી એસ. ચોકાસ અને હિમાંશુ આર. શાહે અન્ય લોકો સાથે મળીને બોગસ ડોક્યુમેન્ટ્સના સહારે નિરવ શાહની 'નિરવ એન્ડ કંપની'ના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં 36 કરોડની રકમ ડિપોઝિટ કરી હતી. આ ઉપરાંત, મહર્ષી સંજય ચોકાસ અને સુનિલ રૂપાણીએ અપૂર્ણ KYC દસ્તાવેજોના આધારે સુનિલ રૂપાણીની કંપનીના એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં 24.35 કરોડની રકમ જમા કરાઈ હતી. આમ, નોટબંધી બાદ કુલ 60.35 કરોડ અથવા 62.52 કરોડની રકમ ગેરકાયદેસર રીતે જમા કરવામાં આવી હતી. ગોલ્ડ-સિલ્વર ખરીદીને કાલ્પનિક વેચાણ બતાવાયુંતપાસ અધિકારીઓના ધ્યાને આવ્યું છે કે,આ જમા કરાયેલા રૂપિયાનો ઉપયોગ બુલિયન સપ્લાયર્સ પાસેથી સોનું અને ચાંદી ખરીદવા તેમજ અન્ય વ્યક્તિગત જવાબદારીઓ ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આ સોના-ચાંદીનું વેચાણ બતાવવામાં આવ્યું હતું, જે કાલ્પનિક હોવાનું ED માની રહી છે. EDના ઇનસાઇટ મુજબ, આ વેચાણમાં બે લાખથી વધુના માલ માટે પાનકાર્ડની જરૂર ન પડે તે માટે યુક્તિ કરવામાં આવી હતી. 'ઇનસાઇટ' મુજબ, પાનકાર્ડની જરૂર ન પડે તે માટે કાલ્પનિક વેચાણ દર્શાવવા માટે જાણીજોઈને 2 લાખથી નીચેના બિલ બનાવવામાં આવ્યા હતા અને આ સોનું અજાણ્યા લોકોને વેચવામાં આવ્યું હોવાનું બતાવી દેવાયું હતું. 2.6 કરોડની મિલકતો સિઝ, વધુ જ્વેલર્સ ભેરવાશે?EDની તપાસ દરમિયાન, મહર્ષી ચોકાસ અને તેના ગ્રુપની 2.6 કરોડની મિલકતો પણ સિઝ કરવામાં આવી છે. ED એવી શંકા પણ વ્યક્ત કરી રહી છે કે આ કમાણી દ્વારા અન્ય મિલકતો પણ ખરીદવામાં આવી હશે. નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ સીબીઆઈ અને આવકવેરા વિભાગ પણ તપાસ કરી ચૂક્યા છે. નોટબંધીના આ મોટા કૌભાંડનો કેસ ફરી ખુલતા સુરતના ઘોડદોડ રોડના કેટલાક જ્વેલર્સ પણ આગામી સમયમાં EDના સકંજામાં આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:13 pm

ચર્ચિત દીપેશ-અભિષેક મોત કેસમાં CBI તપાસની અરજી સેશન્સ કોર્ટે ફગાવી:મેટ્રો કોર્ટે અરજી ફગાવતા સેશન્સ કોર્ટમાં અરજી થઈ'તી, તપાસમાં ખામીનું જણાવી CBIની માગ કરતી અરજી ફગાવાઈ

ચર્ચિત દીપેશ અને અભિષેકના અપમૃત્યુ કેસમાં CBI તપાસની માગ સાથે કરવામાં આવેલી અરજી અમદાવાદની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા લગાવી દેવામાં આવી છે. મૃતક દિપેશના પિતાએ CBI તપાસની માગ સાથેની અરજી કરી હતી. જો કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ CBI તપાસની માગ રદ્દ કરી હતી. જે બાદ મેટ્રો કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. પરંતુ મેટ્રો કોર્ટના ઓર્ડર બાદ સેશન્સ કોર્ટમાં CBI તપાસની માગ કરતી અરજી કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. મેટ્રો કોર્ટના ઓર્ડર બાદ સેશન્સ કોર્ટમાં CBI તપાસની માગ કરતી અરજી કરી હતીએડિશનલ સેશન્સ જજ પી.આઇ. પ્રજાપતિએ નોંધ્યું હતું કે, CBI તપાસની અરજી અને મેડિકલ ઓપીનીયન અંગેની ફરિયાદ પણ સુપ્રીમ કોર્ટે અગાઉ નામંજૂર કરી હતી. તપાસ એજન્સી દ્વારા આરોપીઓ સામે IPC કલમ 304(અ) અને જુવેનાઇલ જસ્ટીસ એક્ટ, 2000ની કલમ 23 થી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલી છે. નીચલી કોર્ટના હુકમમાં કોઈ ભૂલ જણાતી ન હોવાથી તેમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. 'તંત્ર વિધિ કરીને તેની બલિ ચઢાવીને મૃત્યુ નીપજાવવામાં આવ્યું'અરજદાર પ્રફુલભાઈ વાઘેલાએ અરજીની દલીલમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સાપરાધ માનવવધના કેસમાં તપાસમાં ખૂબ ખામી રખાઈ છે. બાળકોનું મૃત્યુ ડૂબી જવાથી થયું નથી. મૃત્યુ અત્યંત શંકાસ્પદ હાલતમાં થયું છે. તંત્ર વિધિ કરીને તેમની બલિ ચઢાવીને મૃત્યુ નીપજાવવામાં આવ્યું છે. મૃતક બાળકો આશ્રમ દ્વારા અથવા તો નારાયણ સાંઈ દ્વારા તેમના સાધકોની મદદથી ભોગ બન્યા હોવાની શંકા છે. આ કેસમાં યોગ્ય તપાસ થવી જરૂરી છે. જેથી મેજિસ્ટ્રેટશ્રીનો અરજી નામંજૂર કરતો હુકમ યોગ્ય નથી. વધુ તપાસ CBIને સોંપવાની જોઇએ. સેશન્સ કોર્ટે CBI તપાસની માગ કરતી અરજી ફગાવી બીજી તરફ આશ્રમ તરફથી હાજર રહેલા એડવોકેટ નિતીન ગાંધીએ એવી રજૂઆત કરી હતી કે, આ કેસમાં અગાઉ પણ સુપ્રીમ કોર્ટ સુધી CBI તપાસ કરવાની માંગ કરતી અરજી કરાઈ હતી. કોર્ટે તે અરજી ગ્રાહ્ય રાખી નહતી. જે બાદ ફરીયાદી પક્ષે CBI તપાસની માંગણી કરતી અરજી નીચલી કોર્ટમાં કરાઈ હતી. જેને પણ ફગાવી દેવામાં આવી હતી. જેથી હવે આ અરજી પણ રદ કરવી જોઈએ. જે બાદ સુનાવણી દરમિયાન બંન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે CBI તપાસની માંગ કરતી અરજી ફગાવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:04 pm

સાયન્સ સીટી રોડ પર ચિત્રા એજન્સીએ વગર મંજૂરીએ ઝાડ કાપ્યા:રૂ. 10 લાખનો દંડ કરાશે, ઘટના સમયે AMTSની ગાડી વપરાઈ હોવાથી પત્ર લખી ખુલાસો માગવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં મુખ્ય રોડની વચ્ચેના ભાગે ડિવાઈડર ઉપર ગણવામાં આવેલા વૃક્ષો જાહેરાત એજન્સીઓ દ્વારા કાપી નાખવામાં આવે છે. અવારનવાર જાહેર ખબર એજન્સીઓ દ્વારા કોઈપણ મંજૂરી વિના વૃક્ષો કાપવામાં આવતા હોય છે ત્યારે વધુ એકવાર શહેરના સાયન્સ સિટી રોડ પર જાહેર ખબરની ચિત્રા એજન્સી દ્વારા રાત્રિના સમય દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની કોઈપણ મંજૂરી વિના વૃક્ષો જાતે કાપી નાખવામાં આવ્યા હતા જે અંગેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે ચિત્રા એજન્સીને 10 લાખનો દંડ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી માંગવામાં આવી છે. અગાઉ પણ આ પ્રમાણે એજન્સી દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ડિવાઈડરમાં આવેલા ઝાડ કાપી નાખ્યાનો વીડિયો સામે આવ્યો હતોરિક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમારે જણાવ્યું હતું કે, સાયન્સ સિટી રોડ પર ડિવાઈડરની વચ્ચેના ભાગે ઝાડ કાપવામાં આવ્યું હોવા અંગેનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ગાર્ડન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા રાત્રિના સમયે ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા જેથી તેમની જાહેરાત દેખાઈ શકે. જાહેર ખબર એજન્સીના ટેન્ડરની શરતમાં જો કોઈપણ પ્રકારના ઝાડ કાપવાના હોય તો તેના માટે વિભાગની મંજૂરી લેવાની હોય છે, પરંતુ કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. AMTS ગાડી વપરાઈ હોવાથી પત્ર લખી ખુલાસો માગવામાં આવ્યોજે ઘટના બની તેમાં ગાડી પણ કોર્પોરેશનના એએમટીએસ વિભાગની હતી. જે બાબતે પણ એએમટીએસ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે કે, આ ગાડી કેવી રીતે આપવામાં આવી છે. ત્યારબાદ આ ગાડીના ડ્રાઇવર અથવા તો માલિક ઉપર કડક પગલાં લેવામાં આવશે. જાહેર ખબરની જેટલી પણ એજન્સીઓ છે તેમને કડક સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ તેમના જાહેરાતોને બોર્ડને નડતર ઝાડ હોય તેના ટ્રીમીંગ માટે એજન્સીઓને ગાર્ડન વિભાગનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:01 pm

છરીથી હુમલો કરનાર સગીર બે વર્ષ બાદ દોષિત:સગીરને સુધારણા માટે 2 માસ અને 10 દિવસની સજા ફટકારી, ફરિયાદીને ન્યાય અપાવવા સજાનો હુકમ કરાયો

વર્ષ 2023માં આશ્રમ રોડ નજીક ઉત્તરાયણના દિવસે મોટર સાયકલ ન આપી હોવાની જુની અદાવત રાખી છરી વડે હુમલો કરનાર સગીરને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા સગીરને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જુવેનાઇલની દેખરેખ રાખનાર કોઈ ન હોવાનું તેમજ બાળકની ગંભીર ગુનાના આરોપીઓ સાથેની મિત્રતા ના લીધે સગીર વયમાં ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેને સુધારા માટે સજા કરવાથી ફરિયાદીને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસાડવા માટે સજા કરવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વાર સગીરને સુધારણા માટે બે માસ 10 દિવસની સજા કરવામાં આવી છે. સગીર અને તેના સાથી આરોપીએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો2023માં ઉત્તરાયણના દિવસે હુમલો કરનાર સગીરને 2 માસની સજા કરવામાં આવી છે. 2023માં ઉત્તરાયણના દિવસે ફરિયાદી અને તેનો ભાઈ પતંગ ચગાવતા હતા. ત્યારે બપોરના 3 વાગ્યા આસપાસ ફરિયાદીનો ભાઈ વસ્તુ લેવા માટે ચાલીના નાકે આવેલ દુકાન પર ગયો હતો. તે સમયે જુવેનાઈલ તેમજ તેની સાથેના 4 લોકોએ ભેગા મળી હુમલો કર્યો હતો. સગીર અને તેના સાથેના આરોપીઓ દ્વારા છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સગીરે છરી વડે પીઠ પર ઇજા કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી અને સગીર ભાગી ગયો હતો. ફરિયાદી દ્વારા બનાવના 3 દિવસ પહેલા એક આરોપીને મોટર સાઇકલ આપવાની ના પાડતા આરોપી અને સગીરે બદલો લેવા જૂની અદાવત રાખી હુમલો કર્યો હતો. જુવેનાઇલ કોર્ટમાં સગીરને રજૂ કરાયોઆ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા સગીરને નજરકેદ કરી જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સગીર વિરૂદ્ધ જુવેનાઇલ બોર્ડમાં તેમજ અન્ય આરોપીઓ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં સરકાર તરફથી એ.પી.પી. એ.કે.તિવારી દ્વારા 8 સાહેદ તપાસવામાં આવેલ અને 14 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી આ એ.પી.પી. એ.કે.તિવારી દ્વારા વિગતવાર દલીલ કરવામાં આવેલી જેમાં ફરિયાદી અને શાહેદો દ્વારા બનાવમાં સગીરે છરી વડે હુમલો કર્યો હોવાની તેમજ કોર્ટમાં ઓળખી બતાવ્યાની રજૂઆત કરી હતી. સગીરને સુધારણા માટે 2 માસ અને 10 દિવસની સજા કરતો કોર્ટનો હુકમ અત્યારે જુવેનાઇલના પિતા અન્ય ગુનામાં જેલમાં છે. જેથી જુવેનાઇલની દેખરેખ રાખનાર કોઈ નથી. તેમજ સગીરની ગંભીર ગુનાના આરોપીઓ સાથેની મિત્રતા હોવાથી સગીર વયમાં ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેને સુધારા માટે સજા કરવાથી ફરિયાદીને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન દલીલો સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા સગીરને તકસીરવાન ઠેરવવામાં આવ્યો છે. જેથી સગીરને સુધારણા માટે 2 માસ અને 10 દિવસની સજા કરતો હુકમ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:57 pm

રાપરના જાહેર માર્ગ પર ગટરની છત ધરાશાઈ:બે લારીધારકો ગટરના ખાડામાં પડી ગયા, સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢતા જીવ બચ્યો

રાપર શહેરના સલારીનાકા પાસે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહારના જાહેર માર્ગ પર ગટરની છત ધરાશાઈ થઈ હતી. આ ઘટના આજે સાંજે બની હતી, જેમાં બે લારીધારકો ગટરના ખાડામાં પડી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સીએચસીના ગેટ બહાર આવેલા જાહેર શૌચાલય પાસેના ગટરના ખાડાની છત અચાનક તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો. આ સમયે બાજુમાં લારી મારફતે જૂના કપડાંનું વેચાણ કરતા બે ધંધાર્થીઓ ગટર ભરેલા ખાડામાં ખાબક્યા હતા. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દાયકાથી આ ગટર લાઇનનું તંત્ર દ્વારા કોઈ સમારકામ કે જાળવણી કરવામાં આવી નથી. જેના કારણે જર્જરિત બનેલી ગટરના ટાંકાની છત તૂટી પડવાની આ ઘટના બની હતી. લોકોએ તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના જર્જરિત ખાડાઓ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ ન બને.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:56 pm

BU-ફાયર સેફ્ટી વિનાની 12 પ્રિ-સ્કૂલ સીલ કરાઈ:AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલોમાં ચેકિંગ કરી કાર્યવાહી કરાઈ, જાણો કઈ પ્રિ-સ્કૂલો સીલ કરાઇ

અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરખેજ, બોપલ, જોધપુર વેજલપુર સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી મેળવ્યા સિવાયની 12 જેટલી પ્રિ-સ્કૂલો સીલ કરવામાં આવી છે. ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરાઇરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી, પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એકસાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વેજલપુર, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:53 pm

ગોડાદરામાં LC માટેની બોલાચાલી બની જીવનનો અંત!:પોલીસ ભરતી માટે ફોર્મ ભરવા એલસી ન મળતાં માતા સાથે ઝઘડો, યુવતી બહાર ગઈ અને પછી આત્મહત્યા કરી

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં પોલીસ બનવાનું સપનું જોતી એક યુવતીએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ભરતી માટે ફોર્મ ભરવા એલસી ન મળતાં માતા સાથે ઝઘડો થયા બાદ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે કારણ આ છે કે અન્ય કોઈ બાબત છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુવતી પોલીસ ભરતી માટે તૈયારી કરતી હતીગોડાદરાના શાંતિનગર નજીક આવેલા પ્રભુનગરમાં રહેતા પ્રકાશભાઈ જાદવ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 19 વર્ષીય પુત્રી હર્ષિદા જાદવ પોલીસ બનવાની ઈચ્છા ધરાવતી હતી અને તેની તૈયારી પણ કરી રહી હતી. તે હાલમાં ઘરે મેકઅપનું કામ કરતી હતી અને સાથે બહારથી કોલેજનો અભ્યાસ પણ કરતી હતી. માતા-પુત્રી વચ્ચે બોલાચાલીહર્ષિદાએ પોલીસ ભરતી માટે ફોર્મ ભરવા માટે જરૂરી તેની માતા કલ્પનાબેન પાસેથી માંગ્યું હતું. જોકે, LC ન મળવાને કારણે માતા-પુત્રી વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ હર્ષિદા થોડા સમય માટે ઘરની બહાર ગઈ અને પરત આવીને ચોથા માળે આવેલા દાદા-દાદીના રૂમમાં જતી રહી હતી. રાત્રે દરવાજો તોડતાં લટકતી હાલતમાં મળીરાત્રે જમવા માટે બોલાવતા હર્ષિદાએ કોઈ જવાબ ન આપતા પરિવારજનોને શંકા ગઈ હતી. રાત્રે લગભગ ૧૧ વાગ્યે દાદી સુનંદાબેન જ્યારે રૂમમાં સુવા ગયા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં કે બૂમો પાડવા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર ન મળતાં આખરે પરિવારજનોએ રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું. યુવતી હર્ષિદા પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક નીચે ઉતારી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોમૃતક યુવતીના પિતા અને પિતરાઈ ભાઈ સાહિલે જણાવ્યું હતું કે, હર્ષિદા પોલીસ બનવા માંગતી હતી અને LC ન મળવાને કારણે માતા સાથે બોલાચાલી થઈ હતી.આ ઘટના અંગે પોલીસને જાણ થતાં સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આપઘાતનું કારણ અકબંધપોલીસે હાલમાં આપઘાતનું સચોટ કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને અન્ય સંબંધીઓના નિવેદનો લેવાની અને આ સમગ્ર બનાવ અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:49 pm

મ્યુઅલ એકાઉન્ટ સામે બેચરાજી પોલીસમાં ફરિયાદ:સાયબર ફ્રોડના નાણાં પત્નીના ખાતામાં જમા કરાવી ચેકથી ઉપાડ્યા મહેસાણાના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

બેચરાજી પોલીસ મથકના પી.એસ.આઈ. એમ. પી. ચૌધરીએ ધ મહેસાણા અર્બન બેંકમાં થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહાર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહેસાણાના એક શખ્સ પર સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં પોતાની પત્નીના બેંક ખાતામાં જમા કરાવી અંગત ફાયદા માટે વાપરવાનો આરોપ છે. શખ્સ પર સાયબર ફ્રોડની ફરિયાદપ્રાપ્ત વિગતો મુજબ મૂળ બેચરાજી તાલુકાના ડેડાણા ગામના અને હાલ મહેસાણાના રાધે કીર્તન ફ્લેટમાં રહેતા પટેલ હિરેન દ્વારા તેની પત્ની પ્રેમીલાબેન પટેલના નામે 8 એપ્રિલ 2024ના રોજ ધ મહેસાણા અર્બન બેંકમાં એક સેવિંગ્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. એક કરોડનું ટર્નઓવરથી શખ્સનો ભાંડો ફૂટ્યોપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 8 એપ્રિલ 2024 થી 10 ઓક્ટોબર 2025 સુધીમાં આ બેંક એકાઉન્ટમાં કુલ ₹1,07,20,842 (એક કરોડ સાત લાખ વીસ હજાર આઠસો બેતાળીસ)ની ક્રેડિટ અને ₹1,07,20,572 (એક કરોડ સાત લાખ વીસ હજાર પાંચસો બોતેર)નું ડેબિટ ટર્નઓવર થયું હતું. પાંચ એકનોલેજમેન્ટ સાથે સાયબર ફ્રોડની ફરિયાદો સાયબર વિષયક પોર્ટલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાતા વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ પાંચ એકનોલેજમેન્ટ સાથે સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાં ફ્રોડના નાણાં આ ખાતામાં જમા થયા હોવાનું જણાયું છે. નાણાં તે સેલ્ફ ચેક મારફતે ઉપાડતો, 16.68 લાખ અંગત ફાયદા માટે વાપર્યાવધુ તપાસમાં સ્પષ્ટ થયું કે હિરેન પટેલે પોતાની પત્નીના નામે ખાતું ખોલાવીને તેનો એક્સેસ પોતે ઓપરેટ કર્યો હતો. તેણે પોતાના મળતીયાઓ સાથે મળીને ભારતના અલગ-અલગ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં આ ખાતામાં જમા કરાવ્યા હતા. આ નાણાં તે સેલ્ફ ચેક મારફતે ઉપાડતો હતો. તપાસ દરમિયાન 8 એપ્રિલ 2024 થી 10 ઓક્ટોબર 2025 સુધીમાં આ ખાતામાંથી સાયબર ફ્રોડના કુલ 16,68,001 પણ અલગ-અલગ ચેકથી ઉપાડીને પોતાના અંગત ફાયદા માટે વાપર્યા હોવાનું સામે આવ્યું છે. બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈપોલીસે એકાઉન્ટ ધારક પ્રેમીલાબેનને બોલાવતા તેમણે જણાવ્યું હતું કે ખાતું તેમના પતિ હિરેને ખોલાવ્યું છે અને હાલ તે જેલમાં છે જ્યારે તેમને ખાતા વિશે વધુ માહિતી નથી.આમ હિરેન પટેલે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી સાયબર ફ્રોડના નાણાં મેળવી અંગત ફાયદા માટે વાપરવા બદલ બેચરાજી પોલીસ મથકમાં તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:42 pm

ઉપરકોલ કિલ્લા પર દીપાવલીને UNESCO ધરોહરની ઉજવવાની:​દીપાવલી તહેવાર UNESCOની અમૂર્ત ધરોહર બનતા જૂનાગઢમાં ઉજવણી: ઉપરકોટ કિલ્લાના રાણકદેવી મહેલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી અને દીપ પ્રજ્વલિત કરાયા

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવાર દીપાવલીને યુનેસ્કો (UNESCO)ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ ભારતનું ૧૬મું તત્વ બની છે. આ રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી જૂનાગઢમાં પણ ભવ્ય રીતે કરવામાં આવી હતી.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના રાણકદેવી મહેલના પ્રાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દિવાળી પર્વની જેમ જ, જુદી જુદી વિદ્યાલયોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી કલાત્મક રંગોળીઓ બનાવી અને દીપ પ્રજ્વલિત કરી આ સિદ્ધિને વધાવી લીધી હતી. ​આ ગૌરવપ્રદ ઉજવણીમાં શહેરના મુખ્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા. જેમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનન અભાણી, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા હાજર રહ્યા હતા.આ મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અને જૂનાગઢની અસ્મિતાને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ નિહાળી હતી અને રંગોળી બનાવનાર વિદ્યાર્થીઓની કળાને બિરદાવી હતી.ઉપરકોટના કિલ્લામાં ઢળતી સાંજે એક અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારોએ સાંસ્કૃતિક ગીતોની પણ પ્રસ્તુતિ આપી હતી. આ દીપોત્સવના કાર્યક્રમમાં જૂનાગઢ અને મેંદરડાની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ રંગોળી બનાવવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં એન. બી. કાંબલીયા કન્યા વિદ્યામંદિર, કે.જી. ચૌહાણ વિદ્યામંદિર, બહાઉદ્દીન સાયન્સ કોલેજ, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ-જૂનાગઢ, આર.જે. કનેરિયા ગર્લ્સ સ્કૂલ, સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યામંદિર, એમ.જી. ભુવા કન્યા વિદ્યામંદિર તથા મેંદરડા ખાતેની નાગલપુર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા યુવા યુનેસ્કોનું આંતરસરકારી સમિતિનું સત્ર 7,13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે, જ્યાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ દીપાવલીનું નામાંકન સ્વીકારાયું હતું. આ પ્રસંગને અનુલક્ષીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ અને પુરાતત્વ સાઇટ્સ પર પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:41 pm

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મ્યૂલ એકાઉન્ટ સામે ડ્રાઇવ:સાયબર ક્રાઈમ માટે ભાડા ખાતા આપનાર સામે પગલા, 3 ફરિયાદ નોંધાઈ; બેંક કર્મચારીની સંડોવણીની તપાસ

અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા સાયબર ક્રાઈમને લઈને ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મ્યુલ એકાઉન્ટ સામે રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કર્યું છે જેમાં મ્યુલ એકાઉન્ટ્સ કે જે સાયબર ગઠિયાઓ દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે વપરાતા બેંક ખાતાઓને નિશાન બનાવે છે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડવાના હેતુથી આ કાર્યવાહીમાં ક્રાઇમબ્રાંચ દ્વારા ત્રણ ફરિયાદ નોંધવામા આવી છે. આ કામગીરી દરમિયાન એક બેંક કર્મચારીની પણ સંડોવણી સામે આવતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 'વ્યક્તિઓ થોડા પૈસાના લાલચમાં પોતાનું એકાઉન્ટ ગઠિયાઓને 'ભાડે' આપે છે'ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાને જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ્સ સાયબર અપરાધીઓ માટે રૂપિયાના ટ્રાન્જેક્શન માટેનું સૌથી મોટું સાધન છે. ઘણીવાર વ્યક્તિઓ થોડા પૈસાના લાલચમાં પોતાનું એકાઉન્ટ ગઠિયાઓને 'ભાડે' આપે છે, પછી તેમનું એકાઉન્ટ તમામ પ્રકારના સાયબર ક્રાઇમના રૂપયાના ટ્રાન્ઝેક્શન માટે મુખ્ય માધ્યમ બની જાય છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે રજ્યભરમાં કડક કાર્યવાહી શરૂ થઈ છે. બેંક કર્મચારીઓની બેદરકારી કે સંડોવણી!એકાઉન્ટ્સની ગોઠવણ માત્ર સાયબર ગઠીયા કે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરી આપતી ગેંગ દ્વારા નથી ચાલતી તેમાં ઘણી વખત બેંકના અધિકારી ખાતાઓ ખોલવામાં મદદરૂપ થતા હોય છે. કેટલીક વખત બેંક કર્મચારીઓની બેદરકારી કે સંડોવણી પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ હવે બેંક સ્ટાફની ભૂમિકાની પણ અલગથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જો સાબિત થાય કે કર્મચારીઓએ KYC અથવા વેરીફીકેશનની પ્રક્રિયામાં ચાલાકી પૂર્વક કોઇ ખેલ કર્યો હોય અથવા ગંભીર બેદરકારી રાખી હોય તો તે બેંક કર્મચારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. ગુનાખોરની વિગતો ગુજરાત સાયબર ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કરાશેKYC, ટ્રાન્ઝેક્શન મોનીટરીંગ તથા અન્ય ફરજિયાત પ્રોટોકોલનું પાલન ન કરનારી બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ સામે પણ કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આવી બેંકો અને સંસ્થાઓની બેદરકારી કે ગુનાખોરની વિગતો ગુજરાત સાયબર ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કરવામાં આવશે. જેથી તેમની સામે કડક કાનુની કાર્યવાહી થઇ શકે છે. મ્યુલ એકાઉન્ટ શું છે?મ્યુલ એકાઉન્ટ એ એવો બેંક એકાઉન્ટ છે જેને સાયબર અપરાધીઓ પોતાના ગેરકાયદેસર નાણાં ટ્રાન્શફર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આ એકાઉન્ટ ખોલનાર વ્યક્તિ સામાન્ય રીતે ગુનામાં સીધી ભાગીદાર નથી, પણ એકાઉન્ટ અન્ય કોઇ દ્વારા ઓપરેટ કરી તેમાં ક્રાઇમના રૂપિયાના મલ્ટી ટ્રાન્જેકશન થતા હોય છે. નાણાંની હેરફેર માટે ઉપયોગગેરકાયદેસર રીતે મળેલા નાણાં (જેમ કે ઠગાઈ, ફ્રોડ, હેકિંગ) મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.પછી તે નાણાં બીજી જગ્યાએ મોકલવા માટે વપરાય છે જેથી આ કાંડ કરનારની ઓળક સામે આવતી નથી. મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ, ફિશિંગ, હેકિંગ, ગેમ્બલિંગ, અને ડ્રગ્સઅન્ય ગેરકાયદેસર વ્યવહારો માટે નાણાં ધોવા માટે સૌથી વધુ વપરાય છે. ઘણીવાર લોકો તેમના એકાઉન્ટ ભાડે આપે છે કે ગેરકાયદેસર નાણાંની એન્ટ્રીઓ પાડવા માટે વપરાય છે. જ્યારે તપાસમાં ખાતેદાર સુધી પોલીસ કે અન્ય કોઇ એજન્સી પહોંચે ત્યારે ગુનાગારો સામે સીધો કોઇ આરોપ નથી હોતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:36 pm

રાજકોટ સમાચાર:19 ડિસેમ્બરની ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે

​દક્ષિણ રેલવેમાં સ્થિત મીલવિટ્ટાન-તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેક કામગિરીનાં લીધે, તા. ​19.12.2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 19568 ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ ઓખાથી પ્રસ્થાન કરીને કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે. આ રીતે આ ટ્રેન કોવિલપટ્ટી અને તૂતિકોરિનની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. ​તેવી જ રીતે, 21.12.2025 ના રોજ તૂતિકોરિનથી ઉપડનારી ટ્રેન નં. 19567 તૂતિકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ તૂતિકોરિનના બદલે કોવિલપટ્ટીથી પ્રસ્થાન કરીને ઓખા સુધી જશે. આ રીતે ટ્રેન તૂતિકોરિન અને કોવિલપટ્ટીની વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. ત્યારે આ ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા શરૂ કરવા રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાનું સન્માન ગુજરાત રાજ્યના જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાને તેમની 10 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તા. 9/12/2025 ના રોજ 'લોખંડી પુરુષ' સરદાર પટેલની પ્રતિમાના મોમેન્ટોથી નવાજીને અપાયું હતું. વોરાએ 10 વર્ષના કાર્યકાળમાં કુલ 134 કેસોમાં અને છેલ્લા 21 મહિનામાં 34 કેસોમાં આરોપીઓને સજા અપાવી છે, જે એક રેકોર્ડ છે. 23/12/2015 ના રોજ DGP નો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે બળાત્કાર, ખૂન, ઉચાપત, નાર્કોટિક્સ ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુનાઓમાં દોષિતોને આજીવન કેદ, 10 વર્ષની કેદ સહિતની સજાઓ અપાવી ન્યાયિક ઇતિહાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. દરમિયાન 9/12/2025 ના રોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે થાપણદારોની કરોડોની ઉચાપતના 5 કેસોમાં આરોપી પલક કોઠારીને દરેક કેસમાં 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસો પણ એસ. કે. વોરાએ અધિક પબ્લિક પ્રોસીક્યુટર કમલેશ ડોડીયા સાથે મળીને પૂર્ણ કર્યા હતા. વોરાની અસરકારક દલીલોને કારણે કોર્ટે આરોપીના બચાવને નામંજૂર કરી તેને સજા ફરમાવી હતી. સીએમનાં હસ્તે લોકાર્પણ છતાં અરવિંદભાઈ મણીયાર અને સંતોષ પાર્ક હોલ જનતા માટે બંધ તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા નવનિર્મિત અરવિંદભાઇ મણીયાર હોલ અને વોર્ડ નં. 1ના સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલ હજુ સુધી જનતા માટે ખુલ્લા મુકાયા નથી. આ બંને હોલના ભાડા અને સંચાલન સંબંધિત દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થવાની હતી, પરંતુ તે આવી ન હોવાથી લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. વોર્ડ નં. 1માં રૈયા રોડ વિસ્તારના સંતોષ પાર્ક મેઇન રોડ પર 12.8 કરોડના ખર્ચે 5105 ચોરસ મીટરમાં આધુનિક કોમ્યુનિટી હોલનું નિર્માણ થયું છે, જેમાં AC અને નોન-AC હોલ, ડાઇનિંગ હોલ, કિચન અને રૂમ જેવી સુવિધાઓ છે. આ હોલનું ભાડું નક્કી થઈ ગયું હોવા છતાં દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી નથી. બીજી તરફ, જ્યુબિલી ગાર્ડનમાં ઐતિહાસિક મણીયાર હોલનું બીજી વખત રિનોવેશન પૂર્ણ થયા બાદ તેના સંચાલન અને નવા ભાડાની કાર્યવાહી પણ અટકી ગઈ છે. પરિણામે, ઉદ્ઘાટન થયા છતાં બંને હોલ બંધ હાલતમાં પડ્યા છે. ઘંટેશ્વર ટીપી 46માં વાંધા સૂચનો રજૂ કરવા એક મહિનાની તક રાજકોટની ઘંટેશ્વર ડ્રાફ્ટ ટી.પી. સ્કિમ નંબર 46 માટે મનપાએ વાંધા સૂચનો સંભાળવાનું શરૂ કર્યું છે, આ પ્રક્રિયા 1 મહિનો ચાલશે બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરીને માર્ચ મહિનામાં સ્કિમ સરકારમાં રવાના કરાશે. હાલ ટીપી બ્રાન્ચમાં ત્રીજા માળે સ્કિમનો ડ્રાફ્ટ અને નકશા જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાપાલિકાની સામાન્ય સભાએ તા.20.05.2025નાં ઠરાવ નં.7થી ટીપી સ્કીમ નં. 46(ઘંટેશ્વર) તૈયાર કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. આ યોજનામાં ગામ ઘંટેશ્વરનાં રેવન્યુ સર્વે નં. 1, 24, 25, 26, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 79. તથા સરકારી ખરાબાના રે.સ.નં. 150/પૈકીની જમીન સહિતના રેવન્યુ સર્વે નંબર તથા તેના પેટા ભાગોના વિસ્તારનો સમાવેશ થાય છે. નિયમ નં.17ની જોગવાઈ હેઠળ યોજના નં.46 (ઘંટેશ્વર)ની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને જમીન માલીકોની સભા ગત સપ્તાહે બોલાવવામાં આવેલ હતી અને સમજુતી અપાઇ હતી. હવે તા.6-12થી તા.5-1-2026 (એક માસ) સુધીમાં આ યોજના હેઠળ અસર પામેલ કોઈ વ્યકિત કે હિત સંબંધ ધરાવતી વ્યકિત આવી યોજના અંગેના કોઈ વાંધા સુચનો મોકલી શકશે. તેમજ જરૂર પડયે તેમાં સુધારા-વધારા પણ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:27 pm

કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMC કમિશનરે મોડલ સીટીની ચર્ચા કરી:કહ્યું, શહેરમાં બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ ન હોય તો દંડ કરો, એક મોડલ ફાયર સ્ટેશન ઊભું કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ બેઠક દરમિયાન શહેરમાં વધતા જતા એર પોલ્યુશન અને મચ્છરજન્ય રોગોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા વિવિધ જગ્યા ઉપર ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર જ્યાં ગ્રીન નેટ ન લગાવવામાં આવ્યું હોય તેવી સાઈટોને દંડ કરવા માટેની સૂચના આપી હતી. રોડ ઉપર જે ડમ્પરો પસાર થાય છે તેઓ ધૂળ ઉડાડતા હોય છે ત્યારે આવા ડમ્પરો સામે પણ કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને હવે શહેરના મોડલ સીટી તરીકે બનાવવા માટે વિવિધ મોડલ જગ્યાઓ બનાવવા માટે પણ બેઠકમાં સુચના આપી હતી. 'એક મોડલ ફાયર સ્ટેશન ઊભું કરો'મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાતી રીવ્યુ બેઠક દરમિયાન શહેરમાં આવનારા કોમનવેલ્થ ગેમ્સને લઈને શહેરમાં વિકાસનું મોડલ ઊભું કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે તેમાં એક ફાયર સ્ટેશન મોડલ ફાયર સ્ટેશન તરીકે બનાવવા માટે જણાવ્યું હતું. સ્ટ્રીટ લાઈટો બંધ રહેવા મામલે કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીને પેનલ્ટી કરવા સૂચના આપી છે. ઝાડના ટ્રીમિંગ માટે હજુ સુધી કોઈ SOP નહીં બનાવવા બદલ ગાર્ડન વિભાગ અધિકારીઓનો ઉધડો લીધો હતો. કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરી નહોતી જેના કારણે થઈને અધિકારીઓને ખખડાવ્યા હતા. 'બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ ન હોય તો દંડ કરો'અમદાવાદ શહેરમાં વધતા જતા એર પોલ્યુશનને લઈને કમિશનરે જણાવ્યું હતું બાંધકામ કન્સ્ટ્રકશન સાઈટની ચારે તરફ ગ્રીન નેટ લગાવવાનું ફરજિયાત બનાવવા અને નેટ નહીં લગાવનાર અને બાંધકામ સાઈટને મોટો દંડ કરવામા આવે. શહેરમાં રોડ અને બ્રિજના કામો ઝડપથી પૂરા કરવા પણ જણાવ્યું હતું. દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાંભા વિસ્તારમાં માત્ર એક જ કોન્ટ્રાક્ટરનો માણસ કામ કરે છે જેથી માણસો વધારવા જોઈએ તેવું સૂચન કરતા કમિશનરે કહ્યું હતું કામ તમારે કરવાનું છે અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ મને આપવાનો છે જેથી કામ તમે કરો અને બાદમાં મને જાણ કરો. અધિકારીઓને આડે હાથ લીધાઅમદાવાદ શહેરમાં લાંભા, અસારવા, ખાડિયા, સરસપુર, સહિત જુદા જુદા વિસ્તારોમાં ઉભરાતી ગટરો મામલે અધિકારીઓને ખખડાવ્યા હતા. શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની અને કેટલીક જગ્યાએ અંધારપટ છવાયેલો હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં વિભાગના અધિકારીઓને આડે હાથ લીધા હતા. કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તાર પણ હવે નવો બની રહ્યો છે ત્યારે ત્યાં મોડલ રોડ બનાવવા માટે તેમજ પ્લાન્ટેશન કરવા માટેની તાકીદ અધિકારીઓને કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:26 pm

યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત ધરોહર સૂચિમાં સામેલ કરતા પાટણમાં આનંદનો માહોલ:રાણકી વાવમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યાં, પરંપરાગત ગરબાની રમઝટ જામી

યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) દ્વારા દિવાળીને અમૂર્ત વિશ્વ ધરોહર (Intangible Cultural Heritage) સૂચિમાં સામેલ કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી નિમિત્તે, પાટણ રમત ગમત કચેરી વિભાગ દ્વારા પાટણ સ્થિત વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે દીપ પ્રાગટ્ય અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા મળતા ગુજરાતમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણની યાદગાર ઉજવણી માટે પાટણ રમત ગમત કચેરી વિભાગે વિશ્વ વિરાસત રાણકી વાવની પસંદગી કરી હતી. રાણકી વાવના પરિસરમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જેના કારણે આ પ્રાચીન સ્થાપત્યની સુંદરતા વધુ નિખરી હતી. દીવડાઓના પ્રકાશે વાવના શિલ્પો અને કોતરણીને પ્રકાશિત કર્યા હતા. આ પ્રસંગે પરંપરાગત ગરબાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:21 pm

વડોદરામાં ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણી:યુનેસ્કોની સાંસ્કૃતિક વારસા યાદીમાં ભારતના દિપાવલી પર્વને “ઇન્ટેન્જિબલ દીપાવલી” તરીકે સ્થાન પ્રાપ્ત થતા બરોડા મ્યુઝિયમ ખાતે 1000થી વધુ દિવાઓ પ્રગટાવી ઉજવણી કરાઇ

. યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (Intangible Cultural Heritage-ICH) સૂચિમાં દીપાવલી તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને અનુસંધાને, ગુજરાત રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં “ઇન્ટેન્જિબલ દીપાવલી” તરીકે વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક કેન્દ્રો અને હેરિટેજ સ્થળોએ હજારો દીવા પ્રગટાવી અનોખું પ્રકાશોત્સવની ઉજવણી કરવા જણાવાયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો જેમાં મોઢેરા સૂર્ય મંદિર, રાણકી વાવ, અડાલજની વાવ, દાંડી કુટીર, શર્મિષ્ઠા તળાવ, ઉપરકોટ, પોરબંદર ગાંધી સ્મૃતિ, ધોળાવીરા, રણોત્સવ ખાતે ઘોરડો સહિત રાજ્યના મુખ્ય સ્થળોએ વિશેષ ઉજવણી યોજાનાર છે. વડોદરા જિલ્લામાં પણ આ ઉજવણીના ભાગરૂપ આજે બરોડા મ્યુઝિયમમાં 1000થી વધુ દીપ પ્રજ્વલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગોળી, રોશની સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સ્થાનિક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:12 pm

બોટાદ સગીરા ગર્ભવતી કેસ:બાળ આયોગ સભ્યએ પીડિતા-પરિવારની મુલાકાત લીધી, ઝડપી કાર્યવાહીના આદેશ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મેમ્બર કમલેશભાઈ રાઠોડ બોટાદ પહોંચ્યા છે. તેમણે સગીરાના ગર્ભવતી થવાના કેસમાં પીડિત સગીરા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. કમલેશભાઈ રાઠોડે પીડિતા સાથે વાતચીત કરીને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે કલેક્ટર અને એસપી સાથે બેઠક યોજી હતી. આયોગે પીડિતાને તાત્કાલિક ન્યાય મળે તે માટે ઝડપભેર ચાર્જશીટ દાખલ કરવા અને ડી.એન.એ. ટેસ્ટ કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. આયોગે જણાવ્યું કે પીડિતાના પુનર્વસન અને જન્મેલા બાળકની સંપૂર્ણ જવાબદારી સરકાર નિભાવશે. બાળક હાલ સારવાર હેઠળ છે અને સ્વસ્થ થયા બાદ સરકાર તેની સંભાળ લેશે. આ કેસમાં આરોપીને કડકમાં કડક અને દાખલારૂપ સજા થાય તે માટે તંત્ર જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. આ ઘટનામાં 70 વર્ષીય આરોપી અરજણ ખોડાભાઈ પટેલે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે 1 ડિસેમ્બરના રોજ આરોપી સામે ગુનો નોંધી 2 ડિસેમ્બરના રોજ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:06 pm

ગુજરાત યુનિવર્સિટીમાં 12 ડિસેમ્બરથી 'ભારત કુલ'નો પ્રારંભ:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન, ઓસમાણ મીર અને ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી રહેશે હાજર

ભાવ, રંગ તાલનો ફેસ્વિટલ એટલે કે ભારત કુલનું12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેનું 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને અપાવી ભારતની સિદ્ધી અને ગુજરાતનું ગર્વ વધારનાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. ભારત કુલ કાર્યક્રમમાં આવનાર મુલાકાતઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવશે. ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમ યોજાશે જે લોકો નિહાળી શકશે. ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ અલગ અલગ કાર્યક્રમની શરૂઆત થશેગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ભારતકુલ કાર્યક્રમમાં 12 ડિસેમ્બરના દિવસે ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ અલગ અલગ કાર્યક્રમની શરૂઆત થશે. ભારત કુલના ઉદ્ઘાટન બાદ ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ કાર્યક્રમ અંતર્ગત BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી પ્રવચન આપવાના છે. તેમજ ભારત કુલમાં ભાવ, રાગ અને તાલ એમ ત્રણ પ્રકારે અલગ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં ભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં અલગ અલગ વક્તા લોકોને સંબોધન કરશે. કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાશેતાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજવાના છે. આ કાર્યક્રમોમાં જાણીતા ચિત્રકાર, જાણીતા એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ IPS અજય ચૌધરી, જાણીતા શિલ્પકાર, એક્ઝિબિશન ડિઝાઇનર, જાણીતા કાર્ટૂનિસ્ટ, જાણીતા કવિ ઉપસ્થિત રહેવાના છે. જે અલગ અલગ કલાને લઈને હાજર લોકો સાથે સંવાદ કરશે. લાલો મૂવીની ટીમ અને ઓસમાણ અને આમિર મીર ઉપસ્થિત રહેશેતેમજ ભારત કુલમાં રાગના પણ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં કવિ સંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી, તેજસ દવે ઉપસ્થિત રહેવાના છે. લાલો ફિલ્મના કલાકારો, સંગીતના ખમીર એવા ઓસમાણ મીર અને આમિર મીર પણ ઉપસ્થિત રહેવાના છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:01 pm

ઉમરગામ મર્ડર કેસનો 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:વલસાડ LCBએ નાલાસોપારામાંથી આરોપીને ઝડપી પાડ્યો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઉમરગામના મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામ્યા બાદ છેલ્લા છ વર્ષથી ફર્લો રજા પરથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને વલસાડ LCBની મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસ દ્વારા 26 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2025 દરમિયાન પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર રહેલા આરોપીઓ વિરુદ્ધ વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનોને કાર્યવાહી ઝડપી બનાવવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વ હેઠળ વલસાડ LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઉમરગામ પોલીસ મથકે વર્ષ 2012માં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલો કેદી નંબર 1572 અશોક ઉર્ફે સુરેશ જ્યોતિબદન મિશ્રા (ઉંમર 60) 7 ઓક્ટોબર 2019ના રોજ રજા પર મુક્ત થયો હતો. રજા પૂર્ણ થયા બાદ તે પરત જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. આથી, તેના વિરુદ્ધ પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. LCBની ટીમને મળેલી બાતમીના આધારે, નાલાસોપારા (વેસ્ટ) ખાતે આવેલા ઓમ સાઈ એપાર્ટમેન્ટ ફેઝ-2 માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી આરોપી અશોક ઉર્ફે સુરેશ જ્યોતિબદન મિશ્રાને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને ઉમરગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. પ્રિઝન એક્ટના ગુનામાં તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેને લાજપોર જેલમાં હસ્તગત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આરોપી અશોક ઉર્ફે સુરેશ જ્યોતિબદન મિશ્રા (ઉંમર 60) નાલાસોપારા (વેસ્ટ), જી. પાલઘર, મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેનું મૂળ રહેઠાણ રમાનગર એપાર્ટમેન્ટ, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ) છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:00 pm

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન યોજાઈ:સી.યુ. શાહ હાઈસ્કૂલ ખાતે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સુરેન્દ્રનગરની સી.યુ. શાહ ઇંગ્લીશ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની વોકેશનલ સ્કીલ કોમ્પિટિશન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની 61 શાળાઓના આશરે 300 વિદ્યાર્થીઓ અને 61 વોકેશનલ ટ્રેનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર શાળા હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. હાલમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની 62 સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે. વિદ્યાર્થીઓમાં વોકેશનલ સ્કીલ્સ પ્રત્યે રસ અને વલણના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગર અને બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા આ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વોકેશનલ ટ્રેડ અંતર્ગત વિવિધ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન આઇ.ટી.આઇ.ના નિષ્ણાંત ઋષભ શાહ અને જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર વૈશાલીબેન પરાલીયાએ નિર્ણાયક તરીકે કર્યું હતું. સ્પર્ધાના પરિણામ અનુસાર, શ્રી સી.યુ. શાહ હાઈસ્કૂલ, વઢવાણ (મૂળચંદ રોડ) એ IT ITES ટ્રેડમાં 'Digital India' પ્રોજેક્ટ રજૂ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય નંબર શ્રી સરકારી માધ્યમિક શાળા, કટારિયાને Agriculture ટ્રેડમાં 'Vertical Farming' પ્રોજેક્ટ માટે મળ્યો છે. જ્યારે શ્રી વી.બી. ઉત્તરબુનિયાદી વિદ્યાલય, ડોળીયા એ Apparel ટ્રેડમાં 'Art Gallary' પ્રોજેક્ટ રજૂ કરીને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શ્રી સી.યુ. શાહ હાઈસ્કૂલ હવે રાજ્ય કક્ષાની સ્કીલ કોમ્પિટિશન 2025-26માં અમદાવાદ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષાના જિલ્લા સેકન્ડરી કો-ઓર્ડિનેટર મનનભાઇ બારોટ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર નરેશભાઇ બદ્રેશિયા અને તેમની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:57 pm

સગર્ભા સાથે દુષ્કર્મ કરનારને સાત વર્ષની સજા:ઈડર કોર્ટે આરોપીને ₹25 હજારનો દંડ ફટકાર્યો

ઈડર કોર્ટે સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે આરોપીને ₹25,000નો દંડ પણ કર્યો છે. મંગળવારે ઈડર કોર્ટમાં આ અંગેનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ નિકેશ બારોટના જણાવ્યા અનુસાર, આ ઘટના વર્ષ 2021માં બની હતી. સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગર્ભા મહિલા પોતાના ઘર નજીક જંગલમાં કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે દાંતા તાલુકાના જામરૂ ગામના રણછોડ હાંકડાભાઈ ખોખરીયાએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના કારણે ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તત્કાલિન સમયે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનાની તપાસ કરી ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી મંગળવારે ઈડર કોર્ટના ન્યાયાધીશ કે.એસ. હિરપરા સમક્ષ ચાલી હતી. ન્યાયાધીશે જામરૂના રણછોડ ખોખરીયાને દોષિત ઠેરવી સાત વર્ષની કેદ અને ₹25,000નો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:56 pm

માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂ હેરાફેરીમાં સામેલ:GPS અને ઈંડાની લારીથી અતુલ દયાતર પકડાયો, LCBએ કોન્સ્ટેબલ સહિત 4ને દબોચ્યા;દારૂના ગુનામાં 'ખાખી'નો જ હાથ!

જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂ પકડવાની કાર્યવાહીના પડઘા હવે પોલીસ વિભાગમાં પડ્યા છે. LCBએ પોરબંદર-માંગરોળ હાઇવે પરથી યુપી પાર્સિંગના એક ટ્રકમાંથી સાત દિવસ પહેલા જ 48.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ, ટ્રક અને મોબાઇલ ફોન મળીને પોલીસે કુલ 69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેના બીજા જ દિવસે ફરી જુનાગઢ એલસીબીએ એ જ વિસ્તારમાંથી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો.આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના ટ્રક ચાલક અફઝલઅલી સફાતઅલી મંસુરીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ​જોકે, LCB દ્વારા ટ્રક ડ્રાઇવરની ઊંડાણપૂર્વક પૂછપરછ અને ટેકનિકલ સોર્સના આધારે હાથ ધરાયેલી તપાસમાં ગંભીર હકીકત ખુલી છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. આ દારૂના રેકેટમાં એક સામાન્ય માણસ નહીં, પરંતુ જે પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો હતો, તે જ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે. જીપીએસ અને ઈંડાની લારીથી ખૂલ્યું રહસ્ય​તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, જે સમયે LCBએ દારૂ ભરેલો ટ્રક રોક્યો હતો, તે જ સમયે ડ્રાઇવરનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આથી દારૂ મોકલનાર વ્યક્તિ ટ્રક ડ્રાઇવરનો સંપર્ક કરી શક્યો નહીં. દારૂ મોકલનારે ઈંડાની લારી ધારકને ફોન કર્યો​આથી, દારૂ મોકલનારે ટ્રકમાં લગાવેલ સેટેલાઇટ જીપીએસ (GPS) સિસ્ટમ દ્વારા ટ્રકનું લોકેશન ટ્રેક કર્યું. જીપીએસથી જાણવા મળ્યું કે ટ્રક માંગરોળ-જૂનાગઢ હાઇવે પર ઊભો છે. દારૂ મોકલનારે તે વિસ્તારમાં આવેલી એક ઈંડાની લારી ધારકનો ફોન દ્વારા સંપર્ક કર્યો. 'ડ્રાઇવરનો ફોન બંધ છે, ડ્રાઇવર સાથે મારી વાત કરાવો'દારૂ મોકલનારે લારી ધારકને કહ્યું કે, મારો ટ્રક ત્યાં બંધ થઈ ગયો છે અને ડ્રાઇવરનો ફોન બંધ આવે છે, કૃપા કરીને ડ્રાઇવર સાથે મારી વાત કરાવો. તેના જવાબમાં ઈંડાની લારી ધારકે કહ્યું કે, સાહેબ, ટ્રક તો મારી સામે ઊભો છે, પણ અહીં પોલીસ પણ હાજર છે.આટલું સાંભળતાની સાથે જ દારૂ મોકલનાર વ્યક્તિ ગભરાઈ ગયો અને તેણે તરત જ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો. ઈંડાની લારી ધારકની પોલીસ દ્વારા પૂછપરછ​આ ઘટનાક્રમ બાદ, જૂનાગઢ LCB દ્વારા તાત્કાલિક તે ઈંડાની લારી ધારકને પકડીને સઘન પૂછપરછ કરવામાં આવી. આ પૂછપરછ અને અન્ય ટેકનિકલ તપાસના આધારે LCBને માલુમ પડ્યું કે આ લાખો રૂપિયાનો દારૂ ટ્રકમાં મંગાવનાર ત્રણ વ્યક્તિઓ હતા. ત્રણેય આરોપી સાથે કોન્સ્ટેબલની સંડોવણી​વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં સૌથી ચોંકાવનારી વિગત સામે આવી કે આ ત્રણેય આરોપીઓ સાથે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અતુલ દયાતર પણ સતત સંપર્કમાં હતો. LCBની તપાસમાં કોન્સ્ટેબલ અતુલ દયાતરની પણ આ લાખો રૂપિયાના દારૂના ગુનામાં સંપૂર્ણ સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ રીતે કોન્સ્ટેબલ ફસાયોઆમ, જૂનાગઢ LCBએ જીપીએસ, ઈંડાની લારીના ફોન કોલ અને ટેકનિકલ પુરાવાઓની મદદથી દારૂના આ રેકેટમાં સંડોવાયેલા પોલીસકર્મી સુધી પહોંચીને મોટી સફળતા મેળવી છે. કોન્સ્ટેબલ અતુલ દયાતર સહિત ચારની ધરપકડ​જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ગત 4 ડિસેમ્બરની 2025ની રેડ બાદ LCB દ્વારા ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોના આધારે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે, દારૂની હેરફેરમાં સંડોવાયેલા અન્ય ચાર ઇસમોના નામ ખુલ્યા હતા અને તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અતુલ દાના દયાતર,અસલમ પટેલીયા,મિતુલ ડોલુભાઈ દયાતર અને દેવશી નથુ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી છે. કોન્સ્ટેબલની દારૂ હેરાફેરીમાં મુખ્ય ભૂમિકા ​ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સ્પષ્ટ થયું છે કે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અતુલ દયાતરે અન્ય આરોપીઓ સાથે મળીને આ દારૂના ગુનાને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોન્સ્ટેબલ અતુલ દયાતર દારૂના કેસમાં પકડાયેલા અન્ય આરોપીઓના સતત સંપર્કમાં હતો. કોન્સ્ટેબલની કોલ ડિટેલ અને લોકેશનથી શંકાદારૂની રેડ કરવામાં આવી તે સમયે કોન્સ્ટેબલના કોલ ડિટેલ અને મોબાઇલ લોકેશનનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. આ ટેકનિકલ પુરાવાના આધારે સાબિત થયું કે અતુલ દયાતર આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પૂરી રીતે સંડોવાયેલો હતો.કોન્સ્ટેબલે અન્ય આરોપીઓ સાથે મળીને દારૂનો આ મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો, તેમાં મદદગારી કરી હતી. દારૂના ગુનામાં 'ખાખી'નો જ હાથ!પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ કાયદાનું રક્ષણ કરવાને બદલે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાવું એ અત્યંત ગંભીર બાબત છે. જૂનાગઢ LCBએ આ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તેમના રિમાન્ડની માંગણી કરી છે, જેથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કોઈ મોટા માથા હોય તો તેમને પણ ઝડપી શકાય. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં સફાયાના સંકેતો મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:55 pm

Editor's View: મહાયુદ્ધનાં મંડાણ:ચીને જાપાનનાં ફાઇટર જેટ પર રડાર લોક કરી, માથાં કાપવાં સુધી વાત પહોંચી, ગુજરાત પર શું ખતરો? જાણો

ચીનની જમીની સરહદ લગભગ 22,117 કિલોમીટર લાંબી છે અને 14 દેશો સાથે જોડાયેલી છે; આ તમામ દેશો સાથે ચીને જમીની સરહદ મામલે ઝઘડો કરી ચૂક્યું છે. એમાંય ભારત, રશિયા અને વિયેતનામ સાથે તો યુદ્ધો પણ થયાં અને લોહી પણ વહ્યું. નાના દેશો પાસેથી તો ચીને ધમકાવીને જમીનો લઈ લીધી અને અમુક સાથે સમજૂતી કરી લીધી. છતાં પણ આજની તારીખે ભારત અને ભૂતાન સાથે ચીનનો સરહદ વિવાદ ચાલુ છે. આ તો થઈ જમીનની વાત, દરિયાઈ સરહદની વાત કરીએ તો 8 દેશો સાથે જોડાયેલી છે. આપણે તાઈવાનને નહીં ગણીએ કારણ કે અમેરિકા અને જાપાનની જેમ જ ચીનના કારણે ભારત અને તાઈવાન વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો નથી. આમાંથી 7 દેશો સાથે તેમનો દરિયાઈ સીમા વિવાદ થઈ ચૂક્યો છે અને હજુ પણ ચાલુ જ છે. ઈનફેક્ટ તાઈવાનને તો ચીન પોતાનો ભાગ માને છે જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર ગણે છે. અને આ જ તાઈવાન મામલે હાલ બે શક્તિશાળી દેશો એટલે કે ચીન અને જાપાન સામસામે આવી ગયા છે. આજે આપણે તેની વાત કરીશું. નમસ્કાર.... પહેલા તો ક્યાં વિવાદ ઉભો થયો છે તે જાણીએ. પૂર્વ એશિયામાં ચીન છે. તેની સામે દરિયામાં માત્ર 130 કિમી દૂર તાઈવાન છે. તેની ઉપર જાપાન છે. જાપાનના યોનાગુની ટાપુથી તાઈવાન માત્ર 110 કિમી દૂર છે. જાપાને મ્યાનમાંથી કેમ તલવાર કાઢી?7 અને 8 ડિસેમ્બર 2025 ના રોજ આપણે વાત કરી એ જ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરના આકાશમાં ચીનના J-15 ફાઈટર જેટે જાપાનના વિમાનો પર રડાર લોક કર્યું. રડાર લોક કર્યું એટલે કે મેં તને નિશાન બનાવી લીધો છે, હવે હું ફાયર કરું છું.દાયકાઓ સુધી શાંતિના પૂજારી રહેલા જાપાને હવે પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી છે. કેમ? ચાલો તાઈવાન મામલે બનેલી પાંચ ઘટનાઓ પર નજર કરીને વિવાદ સમજીએ. 7 નવેમ્બરે જાપાની PM તાકાઈચીએ સંસદમાં કહ્યું, તાઈવાન પર હુમલો એ જાપાન માટે અસ્તિત્વનાં જોખમ સમાન છે. જાપાની પીએમના આ નિવેદન પછી ચીને અમુક કડક પગલા લીધા ચીન જાપાન પર ગિન્નાયું આ જ મામલે ઓકાસામાં ચીનના કોન્સ્યુલેટ જનરલ શુ જિયાને વિદેશ નીતિને લાત મારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ધમકી આપી કે જે અમારી બાબતમાં માથું મારશે તેનાં માથાં કાપી નાખવામાં આવશે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી હતી જ્યારે જાપાની PM તાકાઈચીએ તાઈવાન પર પોતાની વાત રાખી હતી. જો કે પછી વિવાદ અને જાપાનનું આંતરરાષ્ટ્રીય પ્રેશર વધ્યું તો ટ્વીટ ડિલિટ કરવી પડી. તાઈવાન પર જાપાનનો ટ્ર્મ્પને સણસણતો જવાબજો કે જ્યારે ઘર્ષણ વધવાની શરૂઆત થઈ ત્યારે જ ચીન અને જાપાને વ્હાઈટ હાઉસમાં ફોન ઘૂમાવ્યો હતો. ચીને સૌથી પહેલા આ મામલે વોશિંગ્ટનમાં ફોન લગાવ્યો. ટ્રમ્પને આખી માહિતી આપી અને પોતાનું સ્ટેન્ડ જણાવ્યું. આના તરત પછી ટ્રમ્પે ટોક્યોમાં ફોન કર્યો અને જાપાનનું વલણ આક્રમકમાંથી શાંત કરવા અપીલ કરી. પણ જાપાને પાછીપાની ન કરી. PM તાકાઈચીએ ટ્રમ્પને મોઢેમોઢ ના પાડી દીધી કે અમે પાછળ નહીં હટીએ. જેનું તાકાઈચી માટે એક મોટું કારણ એ પણ છે કે તાઈવાન મામલે વાત કરે ત્યારે તેમની પોપ્યુલારિટીમાં ચાર ચાંદ લાગે છે. અને ચીને આક્રમક વલણ દાખવ્યું. જાપાની ઈતિહાસમાં સૌથી મોટી ઘૂસણખોરી?હમણાની જ વાત કરીએ તો 2 ડિસેમ્બરે સેન્કાકુ ટાપુઓ પાસે ચીન અને જાપાનના કોસ્ટ ગાર્ડ સામસામે આવી ગયા અને કલાકો સુધી સ્ટેન્ડઓફ ચાલ્યું. જેના થોડા દિવસ પછી ફિલાપાઈન્સ સીમાં ચીની નેવીએ જાપાની પ્લેન પર ફાયર કન્ટ્રોલ રડાર લોક કર્યું જેની આપણે અગાઉ વાત કરી. અને 9 ડિસેમ્બરે રશિયા અને ચીનના 100 બોમ્બર્સે જાપાનની ફરતે સંયુક્ત ઉડાન ભરી. જાપાનના ઈતિહાસમાં લગભગ એક જ દિવસમાં આટલી મોટી ઘૂસણખોરી ક્યારેય નથી થઈ. આ કોઈ કવાયત નહોતી, જાપાન સામે આ સીધું શક્તિ પ્રદર્શન હતું. તાઈવાનને જાપાન પ્રત્યે સોફ્ટ કોર્નરઆ તો હાલની ઘટનાઓ છે. પણ આને વધુ સારી રીતે સમજવા 130 વર્ષ પાછળ જવું પડશે. 1895 માં જાપાને ચીનને હરાવીને તાઈવાન જીતી લીધું હતું. 50 વર્ષ સુધી તાઈવાન જાપાનનું સંસ્થાન રહ્યું. પણ અહીં એક ટ્વિસ્ટ છે. કોરિયા કે ચીનની જેમ તાઈવાનના લોકો જાપાનને નફરત નથી કરતા. ઉલટું, તાઈવાનના મોર્ડનાઈઝેશનનો શ્રેય તેઓ જાપાનને આપે છે. ચીન તાઈવાનને પોતાનું કહે છે અને તાઈવાનનો જાપાનીઓ પ્રત્યેનો આ સોફ્ટ કોર્નર ચીનની આંખમાં કણાની જેમ ખૂંચે છે. જાપાને તાઈવાન રાગ આલાપ્યો બીજા એક મોટા ટ્વિસ્ટની પણ વાત કરવી જોઇએ કારણ કે જાપાને વેપાર માટે તાઈવાનને પડતું મૂકી દીધું હતું. 1972માં જાપાને ચીન સાથે વેપાર કરવા તાઈવાન સાથે સત્તાવાર સંબંધો તોડ્યા. 2025માં વડાપ્રધાન તાકાઈચીએ જૂની વાતો પરથી પડદો હટાવી લીધો છે. હવે જાપાન માટે પિક્ચર ક્રિસ્ટલ ક્લિયર છે: મિત્ર તાઈવાન મુશ્કેલીમાં છે અને દુશ્મન ચીન દરવાજે યુદ્ધ કરવા ઉભું છે. બેઉ બળિયા બાથે વળગ્યાબંને પ્રશાંત મહાસાગરમાં પોત-પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. એક બાજુ ડ્રેગન પાસે સૌથી મોટી નેવી છે. તેમનું ફુજિયન મોર્ડન ઈલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચ સિસ્ટમથી સજ્જ છે. જેના જ લીધે તેઓ ક્વોન્ટિટીના જોરે જાપાનને દબાવવા માગે છે. શાંત બંધારણના લીધે જાપાન પાસે પોતાની મોટી સેના નથી પણ આ જ બંધારણમાં અમેરિકાની જબાન છે કે જાપાનને કંઈ થશે તો અમેરિકા ખભેખભો મિલાવીને ઉભું હશે. જેનો પણ એક ઈતિહાસ છે. અને જાપાન પણ લલ્લુપંજુ નથી. જાપાન પાસે કેમ પોતાની સેના નહોતી?1947માં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ જાપાન પાસે 'શાંતિપ્રિય બંધારણ' સ્વીકારાવ્યું હતું, જેમાં જાપાન યુદ્ધ નહીં કરી શકે તેવી શરત હતી. જોકે, બદલાતા સમય સાથે 2015માં જાપાને શિંજો આબેના સમયમાં જાતે 'સિક્યોરિટી લૉ' માં ફેરફાર કર્યો, જેથી હવે મિત્ર દેશ પર હુમલો થાય તો જાપાન યુદ્ધમાં ઉતરી શકે. 1960 ની 'યુએસ-જાપાન સિક્યુરિટી ટ્રીટી' મુજબ અમેરિકાએ જાપાનને સુરક્ષાની ગેરંટી આપી હતી. પણ ત્યારે અમેરિકા અને ચીનના સંબંધો અલગ હતા અને હવે અલગ છે. ત્યારે અમેરિકા ચીનને જવાબ આપવા માગતું હતું હવે અમેરિકા ચીન સાથે વેપાર તો કરે જ છે પણ તેને વધારવા પણ માગે છે. બાઈડેનની વાત કરીએ તો તે જાપાન અને તાઈવાનના સમર્થનમાં હતા પણ વેપારી અને જગતજમાદાર ટ્રમ્પ યુદ્ધ બંધ કરવાના મુદ્દા પર જ ઈલેક્ટ થયા છે. આ સ્થિતિમાં જાપાનનું શું થશે તે જોવાનું રહેશે. અને હવે જેના પર વિવાદ થઈ રહ્યો છે તે તાઈવાનની વાત. જાપાન અને ચીનના આક્રમક વલણના 3 મોટા કારણો છે. 1) ધ સિલિકોન શિલ્ડ2) જાપાનનું ગળું3) ફર્સ્ટ આઈલેન્ડ ચેઈન તાઈવાન દાવાના પણ 3 મોટા કારણોતાઈવાન પાસે TSMC છે, જે દુનિયાની 60% સેમિકન્ડક્ટર ચિપ્સ અને 90% એડવાન્સ ચિપ્સ બનાવે છે. જો ચીન તાઈવાન પર હુમલો કરે અથવા બ્લોકેડ કરે, તો એપલના આઈફોનથી લઈને અમેરિકાની મિસાઈલ સિસ્ટમ સુધી બધું ઠપ થઈ જાય. જાપાનનું 90% પેટ્રોલિયમ અને ગેસ તાઈવાન સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો ચીન તાઈવાન લઈ લે, તો તે ગમે ત્યારે જાપાનનું 'ગળું દબાવી' શકે છે. ચીનને મહાસાગરમાં ખૂલેઆમ ફરવું છે, પણ જાપાન, તાઈવાન અને ફિલિપાઈન્સની ટાપુ શૃંખલા જેને ફર્સ્ટ આઈલેન્ડ ચેઈન પણ કહેવાય છે તે ચીનને રોકી રાખે છે. ચીનને આ સાંકળ તોડવી છે, અને જાપાનને આ સાંકળ સાચવવી છે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. જાપાન કંઈ તાઈવાનના પ્રેમમાં પડીને આટલું આક્રમક નથી થયું. આ જીઓગ્રાફિકલ પોલિટિક્સ છે. ભૂતપૂર્વ જાપાની પીએમ શિન્ઝો આબેએ કહ્યું હતું, તાઇવાન આકસ્મિકતા એ જ જાપાન આકસ્મિકતા છે. આબે અને જાપાનનાં મહિલા વડાપ્રધાન બંને તાઈવાન પ્રેમી અને ચીન વિરોધી માનસિકતા ધરાવતા રહ્યા છે. આ મુદ્દે આજે જાપાનને સમજાઈ ગયું છે કે યુક્રેનમાં જે થયું તે એશિયામાં થઈ શકે છે. અમેરિકા પર સંપૂર્ણ ભરોસો રાખીને બેસી રહેવાય તેમ નથી. એટલે જ જાપાન હવે શાંતિપ્રિય બંધારણની મર્યાદાઓ તોડીને, સંરક્ષણ બજેટ બમણું કરી રહ્યું છે. જાપાન જાણે છે કે જો તાઈવાન ગયું, તો પછીનો નંબર ઓકિનાવા આઈલેન્ડનો છે. ચીન-જાપાન મુદ્દે ભારતનું શું સ્ટેન્ડ?આમ તો ભારત આ મામલે ન્યૂટ્રલ છે પણ જાપાન આપણું દોસ્ત છે. ભારતે હાલ કોઈ સત્તાવાર સ્ટ્રોંગ નિવેદન નથી આપ્યું. દોસ્તીના લીધે એક રીતે ભારતને જાપાન પ્રત્યે સોફ્ટ કોર્નર રહે તો નવાઈ નહીં. વિવાદ આગળ વધશે તો શું થશે? હવે વાત અતિ ગંભીર સંભાવનાઓની. ન કરે નારાયણ અને આ મામલે જો ન થવાનું થયું તો ચીન તાઈવાનની નાકાબંધી કરી શકે છે. આની એક અસર એ પણ થઈ શકે કે એશિયન નાટો વધુ મજબૂત થશે. અને ચીન જાપાની સી ફૂડ અને કાર ઈન્ડસ્ટ્રી પર પ્રતિબંધો મૂકીને જાપાનની આર્થિક કમર તોડવાનો પ્રયાસ કરી શકે છે. અને છેલ્લે.... આપણને થાય કે આ બધી માથાકૂટ તો આપણાથી હજારો કિલોમીટર દૂર થઈ રહી છે. આપણે શું લેવા દેવા. જો આપણે આવું વિચારીએ તો ખાંડ ખાઈએ છીએ કારણ કે ગુજરાતના ધોલેરામાં જે સેમિકન્ડક્ટર પ્લાન્ટના સપનાં જોઈએ છીએ એમાં ટાટાનું પાર્ટનર કોણ છે? તાઈવાનની કંપની PSMC. જો તાઈવાનમાં કંઈ થાય તો ત્યાંના એન્જિનિયર્સ કે ટેક્નોલોજીનું ટ્રાન્સફર રોકાઈ શકે છે. રાજકોટના ફેક્ટરીમાં વપરાતી CNC મશીનની ચીપ હોય કે મોબાઈલ ચીપ બધુ મોંઘું થઈ શકે છે. ટૂંકમાં તાઈવાનને શરદી થાય તો ગુજરાતના ઓટોમોબાઈલ કે સેમિકન્ડક્ટર સેક્ટરને તાવ આવી શકે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.(રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:55 pm