રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના બીજા દિવસે એટલે કે રવિવારે 38,000 બાદ સોમવારે ત્રીજા દિવસે 30,000થી વધુ લોકોએ કથાનું રસપાન કર્યું હતુ. ત્રીજા દિવસે સ્વામીજીએ આજના સમયમાં થતા પ્રેમ વિષે ટકોર કરતા આજના સોશિયલ મીડિયાના આધુનિક યુગ્મ થતા પ્રેમ વિષે યુવાનોને ટકોર સાથે પ્રેમનું વર્ણન કરતા કહ્યું હતું કે, આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. પ્રેમ કરવો હો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ સાચો પ્રેમ હતો.. ઉલ્લેખનીય છે કે દરરોજ કથાની શરૂઆત કરતા પહેલા આરતી અને રાષ્ટ્રગીતથી ભક્તિમય વાતાવરણ બનાવી બાદમાં સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવાની શરૂઆત કરવામાં આવે છે. સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ, તેને અરેન્જ મેરેજ કહેવાય છે. પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે. તેમણે લગ્નમાં પારિવારિક સહમતી અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું.. સોશિયલ મીડિયા પર વધતી અસલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, હવે યુનિવર્સિટીઓમાં દીકરીઓના ફોટા ખોટી રીતે જોવા નહીં મળે, કારણ કે આપણી દીકરીઓએ માત્ર 'મોડેલ' બનીને નથી રહેવાનું, પણ 'ઝાંસીની રાણી' જેવી વીરાંગના બનીને પોતાની રક્ષા પોતે કરવાની છે. તેમણે ઉમેર્યું કે, આજના જમાનામાં વોટ્સએપ માં જોઈને પ્રેમ થઈ જાય છે. લોકો જોયા વગર જ હજારો રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. બહેનોને ભગવાને મીઠી વાણી આપી છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ જેથી કોઈ છેતરાય નહીં. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. ભારતના ઈતિહાસ અને વર્તમાનમાં ગુજરાતનું યોગદાન અતુલનીય સ્વામી હરિપ્રકાસદાસજીએ જણાવ્યું હતું કે, આપણી માટે ગૌરવની વાત એ છે કે દેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો ફાળો ગુજરાતના પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો છે. ખાસ કરીને સરદાર પટેલ વિશે વાત કરતા જણાવાયું હતું કે, જો આ દેશને સરદાર પટેલ ન મળ્યા હોત, તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. દેશને એકસૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના થકી જ શક્ય બન્યું છે. સ્વામીજીએ સંબોધન કરતા જણાવ્યું કે, જ્યારે ભારતને બિઝનેસ કરતા નહોતું આવડતું, ત્યારે બે કાઠિયાવાડીઓએ દુનિયાને વેપારની નવી દિશા બતાવી. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને બિઝનેસના પાઠ ભણાવ્યા છે. આજે પણ અડધી દુનિયામાં રાજકોટ અને ગુજરાતના વેપારીઓનો ડંકો વાગે છે.વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટની ધરતીમાં કંઈક એવી તેજસ્વીતા છે કે અહીંથી નીકળેલા લોકો વિશ્વ ફલક પર છવાઈ જાય છે. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહી છે, તેનાથી વિશ્વના મોટા દેશો પણ ભારતની તાકાતની નોંધ લેતા થયા છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 80 જ્યારે શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં રૂપિયા 100 ટિકિટ નક્કી કરી છે. અટલબ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે. AMC દ્વારા ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઇન પેમેન્ટ બાદ ટિટિક મેળવી શકાશે. જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે. QR કોડ સ્કેન કરી ફ્લાવર શોની ટિકિટ બુક કરાવી શકશોAMC દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન એમ લોકો બંને ટિકિટ મેળવી શકે તે મુજબ વ્યવસ્થા કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ બારી બનાવવામાં આવી છે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ મેળવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત AMC દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. જે કોડ સ્કેન કરતાની સાથે જ પેજ ખુલશે. જેમાં ટિકિટના ભાવથી લઈને તમામ માહિતી આપવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે નાગરિકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે, ત્યાર બાદ ફ્લાવર શોમાં જવા અને અટલ બ્રિજ તેમજ ફ્લાવર શો એમ બંને ઓપ્શન આપવામાં આવ્યો છે. જેમાંથી લોકોને જ્યાં જવું હોય તે સિલેક્ટ કરીને તેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ કેન્સલ કરી શકાશે નહીંપેમેન્ટ કર્યા બાદ તેની ટિકિટ ઓનલાઇન તેના મોબાઈલ નંબર પર મળી જશે. જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં એન્ટ્રી મળશે. ફ્લાવર શોની ટિકિટ નોન રિફંડેબલ રહેશે. એક વખત ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ તેને કેન્સલ કરી શકાશે નહીં. ઓનલાઇન ટિકિટ બુકિંગના પૈસા કપાયા બાદ જો કોઈપણ વ્યક્તિને ટિકિટ ન મળે તો તેના માટે ડાઉનલોડ ટિકિટ મેનુમાં જવાનું રહેશે. ત્યાં પોતાનો મોબાઈલ નંબર નાખીને ટિકિટને ડાઉનલોડ કરી લેવાની રહેશે. VIP સ્લોટની રૂપિયા 500 ફી નક્કી કરાઈરિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફ્લાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે ટિકિટના દરો નક્કી કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે સોમવારથી શુક્રવાર માટે 120 રૂપિયા ફીનો નક્કી કરવામાં આવી હતી જેમાં ઘટાડો કરી રૂ. 80 અને શનિવાર-રવિવાર તેમજ જાહેર રજાના દિવસે 150 રૂપિયા હતી જેમાં ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી છે. અટલ બ્રિજ માટે અલગથી ફી લેવાની રહેશે. સવારે 8:00 થી 9:00 અને રાત્રે 10થી 11 VIP સ્લોટ રહેશે જેના માટે 500 રૂપિયા ફી નક્કી કરાઈ છે.
સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ 'જનતા રેડ' મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા. આ રેડ દરમિયાન એક 'શોખીન' વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા-પીતા નીકળી ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતોસુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ 'જનતા રેડ' અંતર્ગત ઉગત રોડ પર આવેલી મીની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો. સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વીડિયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા. ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરો ના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા હતા. કેટલાક તો બૂટ-ચંપલ પહેર્યા વગર જ દોડી ગયા હતા. રેડ દરમિયાન એક વ્યક્તિ દારુ પીતો-પીતો ભાગ્યોઆ આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા. જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા, ત્યારે એક 'શોખીન' વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો હતો. નવાઈની વાત એ હતી કે, સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો, છતાં આ વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર નહોતો. તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા-પીતા, ચાલતા-ચાલતા ત્યાંથી નીકળી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ શખ્સનો વીડિયો હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બુટલેગર સાથે બોલાચાલી અને પોલીસની કામગીરી પર સવાલરેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી. કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસની મીલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે. કાર્યકરો દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ PCR પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટેલગરની અટકાયત કરાઈ હતી.
સરીગામમાં યુવાન પર કારચાલક અને સાગરીતોનો હુમલો:માથામાં ગંભીર ઈજા થતા ભીલાડ CHCમાં દાખલ કરાયો
ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. સરીગામના દક્ષિણ ફળિયામાં રહેતા 22 વર્ષીય દીપક રાજેન્દ્રભાઈ જોષી પર કારચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં દીપકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને ભીલાડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, દીપક સાંજના આશરે સાત વાગ્યાના સમયે સરીગામ વૃંદાવન પાર્ક સામે આવેલી દુકાને બ્રેડ લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ખુલ્લા મેદાન તરફથી એક કાળા રંગની વર્ના કાર ઝડપથી આવી હતી. કારની વધુ પડતી ઝડપ જોઈને દીપકે કારચાલકને ટકોર કરી હતી. આ ટકોર કરતા કારચાલક હસમત કારમાંથી નીચે ઉતર્યો હતો. તેણે દીપકને અપશબ્દો બોલી તેમના પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં હસમત સાથે આશિક અલી અને તેના અન્ય બે અજાણ્યા સાગરીતો પણ જોડાયા હતા. આરોપીઓએ દીપકને ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો. આ દરમિયાન હસમતે તેના હાથમાં પહેરેલા કડાથી દીપકના માથાના ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ દીપકને તાત્કાલિક સારવાર માટે ભીલાડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ આ સમગ્ર મામલે ભીલાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
વાપી અદાલતે નશાયુક્ત પદાર્થ ખવડાવી રૂ. 3.49 લાખથી વધુની ઓનલાઈન ખરીદી દ્વારા છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટના પારડી તાલુકાના ખડકી હાઇવે વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, 4 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદી હાર્દિક રામચંદ્રભાઈ પટેલનો આરોપીઓએ કાર પુલિંગના બહાને સંપર્ક કર્યો હતો. ખડકી ગામની રામદેવ હોટલમાં જમણવાર દરમિયાન ફરિયાદીને નશાયુક્ત પદાર્થ ભેળવી ખવડાવવામાં આવ્યો હતો. નશો ચડતાં ફરિયાદી બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમનું અપહરણ કરી મહારાષ્ટ્રના ગોરેગાવ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાંથી આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ, લેપટોપ, દસ્તાવેજો, એટીએમ કાર્ડ અને વિવિધ બેંકના ક્રેડિટ કાર્ડની ચોરી કરી હતી. ચોરી કરાયેલા કાર્ડનો ઉપયોગ કરીને આરોપીઓએ એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકના ખાતાઓમાંથી ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ મારફતે કુલ રૂ. 3,49,282ની ઓનલાઈન ખરીદી કરી હતી, જેનાથી ફરિયાદીને આર્થિક નુકસાન થયું હતું. આ મામલે પારડી પોલીસે આરોપી અંકુશ મદનલાલ પાલની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીએ નિયમિત જામીન અરજી કરી હતી, પરંતુ વાપીના એડિશનલ સેશન્સ જજ શ્રી એચ.એન. વકીલે સરકારી પક્ષની દલીલો માન્ય રાખીને આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.
ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીના ખેતરમાંથી કુલ 180 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 4,53,800 છે. આ કેસમાં એક આરોપી ફરાર છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીની સૂચનાથી પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકીને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ખેતરના શેઢાની વાડમાંથી વિવિધ બ્રાન્ડનો દારૂ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી જયરાજ જીલુભાઇ ખાચર (રહે. નાની મોલડી, તા. ચોટીલા) હાજર મળી આવ્યો ન હતો અને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એન. ગળચર, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ કુકડીયા, મેહુલભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ આલાભાઈ રોજીયા, દલીપભાઈ માંજરીયા, નરેન્દ્રસિંહ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
રાજકીય પક્ષો અને ટ્રસ્ટોના નામે બોગસ ડોનેશન મેળવી ઇન્કમટેક્સ અને GSTમાં કરોડો રૂપિયાની કરચોરી કરવાના મસમોટા 1000 કૌભાંડમાં સંડોવાયેલા આરોપી રેનિલ પાટડિયાને કોર્ટે કોઈ પણ રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ એક ગંભીર આર્થિક ગુનો છે. જે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. અત્યારે તપાસ નાજુક તબક્કે છે અને જો આરોપીને છોડવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. રાજકીય પક્ષોના નામે એકાઉન્ટ ખોલીને ઇન્કમટેક્સની ચોરી કરતાCID ક્રાઈમ અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી રેનિલ પાટડિયાએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને એક સુનિયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ વિવિધ રાજકીય પક્ષોના નામે એકાઉન્ટ ખોલીને ઇન્કમટેક્સની કલમ 80(B) અને 80(C) હેઠળ ટેક્સમાં રાહત મેળવવા માટે લોકો પાસેથી ડોનેશન મેળવવામાં આવતું હતું. ટ્રસ્ટોના એકાઉન્ટમાં દાન સ્વીકારીને ત્યારબાદ બોગસ દસ્તાવેજો ઉભા કરી, ખોટી એન્ટ્રીઓ પાડીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આરોપીઓ ડોનેશનની રકમમાંથી પોતાનું કમિશન કાપી લઈને બાકીની રકમ અન્ય સ્ત્રોતો દ્વારા ડોનરને પરત કરી દેતા હતા. GSTમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે બોગસ બિલો અને બોગસ રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી સરકારને અંદાજે 1000 કરોડનું રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતુ. બોગસ એકાઉન્ટ ખોલાવી રૂપિયા 1000 કરોડનું ડોનેશન કૌભાંડ આચર્યુંઆ કેસમા ઝડપાયેલા આરોપી રેનિલ પટડિયાએ જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે, તમામ આક્ષેપો ખોટા છે, આ મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ હોવાથી હવે જેલમાં રાખવાની જરૂર નથી. અન્ય સહ-આરોપીઓને જામીન મળી ગયા હોવાથી સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ. જોકે, આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીએ રાજકીય પક્ષોના નામે બોગસ એકાઉન્ટ ખોલાવી રૂપિયા 1000 કરોડનું ડોનેશન કૌભાંડ આચર્યું છે. આરોપીના ઉષા ગોલ્ડ ફર્મ નામના એકાઉન્ટમાંથી કરોડોના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ એક દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતો ગંભીર આર્થિક ગુનો છે. કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને આરોપીની જામીન અરજી ફગાવીબીજી તરફ તપાસ અધિકારીએ સોગંદનામુ રજૂ કરી જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેની કડીઓ મળી આવી હતી. આરોપી નવરંગપુરા સી.જી. રોડ પર મેસર્સ ઉષા ગોલ્ડ ફર્મના નામે એકાઉન્ટ ધરાવતો હતો. આ એક જ એકાઉન્ટમાં 5.92 કરોડથી વધુની રકમ જમા થઈ હતી અને તેમાંથી 5.89 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. વધુમાં, સહ-આરોપી વૈદ ધુલારામ શંકરલાલના એકાઉન્ટમાં પણ 36.20 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાના પુરાવા મળ્યા છે. કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને આરોપી રેનિલ પાટડિયાની જામીન અરજી ફગાવી દીધી છે.
બોટાદ તાલુકાના ભાંભણ ગામ ખાતે પંચવટી વિકાસ કેન્દ્ર – અનુસૂચિત જાતિ વિકાસ કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર અનુસૂચિત જાતિના લોકોના સામાજિક પ્રસંગો અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી માટે બનાવવામાં આવશે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમારના હસ્તે આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ કાર્ય વન વિભાગ, ગુજરાત રાજ્ય અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, બોટાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ ડી. સરવૈયા, સાધુ સમાજના પ્રમુખ જદુરામ બાપુ, જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપતભાઈ મેર, ભાંભણ ગામના સરપંચ જોરસંગભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ મોરડિયા, ભુવા ભીખાભાઈ પરમાર, ભાંભણ ગામના ઉપસરપંચ તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાંભણ ગામના વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના લવમેરેજને લઈને વિવાદ શરૂ રહ્યો છે, ત્યારે સુરતના પાટીદાર યુવાનો દ્વારા સિંગરના કાર્યક્રમના સ્થળ પર પહોંચી વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના સુરાણી પરિવારના લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણી ગીત ગાવા પહોંચે તે પહેલાં જ તેના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરતી સાંગાણી જે લગ્ન પ્રસંગમાં ગીત ગાવા આવવાની હતી તે પણ પાટીદાર પરિવાર છે. સુરાણી પરિવાર પણ આરતી સાંગાણીના વિવાદ બાદ સમાજ સાથે જોવા મળ્યો હતો. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ...
વિજય હજારે ટ્રોફી 2025-26ની વન ડે ટુર્નામેન્ટમાં આજ રોજ રાજકોટ ખાતે અલગ અલગ ચાર મેચ રમાઈ હતી જેમાં બંગાળ અને ચંદીગઢ વચ્ચે મેચમાં 6 વિકેટથી બંગાળ ટીમનો વિજય થયો હતો આ રીતે બીજો મેચ આસામ અને હૈદ્રાબાદ વચ્ચે રમાયો હતો જેમાં 4 વિકેટથી આસામ ટિમ વિજેતા બની હતી જયારે ત્રીજો મેચ બરોડા અને ઉત્તરપ્રદેશ વચ્ચે રમાયો હતો જેમાં 54 રનથી ઉત્તરપ્રદેશ ટિમ વિજેતા બની હતી તેમજ ચોથો મેચ જમ્મુ કશ્મીર અને વિદર્ભ વચ્ચે યોજાઈ હતી જેમાં વિદર્ભે 5 વિકેટથી જીત હાસિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બરોડા સામે મેચમાં ધ્રુવ જુરેલએ 101 બોલમાં 160 બનાવી અણનમ રહેતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામ આવ્યા છે. બંગાળે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો બંગાળ અને ચંદીગઢ વચ્ચે મેચ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં બંગાળે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ચંદીગઢ ટીમ 48.2 ઓવરમાં 319 રન બનાવી ઓલઆઉટ થઈ હતી અને તેમાં મનન વોહરાએ 127 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 122 રન બનાવ્યા હતા, સંયમ સૈનીએ 54 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા, અર્જુન આઝાદે 18 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. બંગાળ ટિમ તરફે મુકેશ કુમારે 10 ઓવરમાં 59 રન આપીને 5 વિકેટ લીધી હતી જયારે મોહમ્મદ શમીએ 9.2 ઓવરમાં 3 વિકેટ લીધી હતી જેમાં એક મેઇડન સાથે 69 રન આપ્યા હતા. મુકેશ કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા આ પછી બંગાળની ટીમે 47.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા હતા જેમાં અભિષેક પોરેલે 84 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા, શાહબાઝે 61 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા, અનુસ્તુપ મજુમદારે 70 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા અને બંગાળે 6 વિકેટથી મેચ જીતી 4 પોઈન્ટ મેળવ્યા હતા. મુકેશ કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો બીજી મેચ આસામ અને હૈદરાબાદ વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ સી ખાતે રમાઈ હતી જેમાં હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. રાહુલ સિંહ ગહલૌતે 71 બોલમાં 14 ચોગ્ગા સાથે 79 રન બનાવ્યા. અભિરથ રેડ્ડીએ 66 બોલમાં 6 ચોગ્ગા સાથે 54 રન બનાવ્યા. કે. નિતેશ રેડ્ડીએ 25 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 53 રન બનાવ્યા. અબ્દુલ અજીજ કુરૈશીએ 9 ઓવરમાં 1 મેઇડન સાથે 71 રન આપીને 3 વિકેટ લીધી હતી જયારે સરૂપમ પુરકાયસ્થ અને શિબશંકર રોયે 2-2 વિકેટ લીધી હતી. શિબશંકર રોયને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા આસામે 49.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા જેમાં શિબશંકર રોયે 109 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા. સૌરવ મૌસુમ દિહિંગિયાએ 112 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા. દેનિશ દાસે 46 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. સી.વી. મિલિંદે 10 ઓવરમાં 1 મેઇડન આપીને 3 વિકેટ લીધી, જેમાં 68 રન આપ્યા હતા. આસામે 4 વિકેટથી મેચ જીતી 4 પોઇન્ટ મેળવ્યા હતા અને શિબશંકર રોયને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. બરોડાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો ત્રીજી મેચ બરોડા અને ઉત્તર પ્રદેશ વચ્ચે SCA ક્રિકેટ પેવેલિયન સણોસરા, ગ્રાઉન્ડ A ખાતે રમાઈ હતી જેમાં બરોડાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો ઉત્તર પ્રદેશે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 369 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે 101 બોલમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 160 રન બનાવ્યા. રિંકુ સિંહે 67 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 63 રન બનાવ્યા. અભિષેક ગોસ્વામીએ 51 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 51 રન બનાવ્યા. રાજ લિંબાણીએ 10 ઓવરમાં 74 રન આપીને 4 વિકેટ લીધી. આર્યન ચાવડાએ 2 વિકેટ લીધી હતી. ધ્રુવ જુરેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો બરોડા 50 ઓવરમાં 315 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. કૃણાલ પંડ્યાએ 77 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા. શાશ્વત રાવતે 69 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા. અતિત શેઠે 28 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા. ઝીશાન અન્સારીએ 10 ઓવરમાં 1 મેઇડન સાથે 53 રન આપીને 3 વિકેટ લીધી. સમીર રિઝવી અને વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી હતી. ઉત્તર પ્રદેશે 54 રનથી મેચ જીતી 4 પોઈન્ટ મેળવ્યા હતા અને ધ્રુવ જુરેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વિદર્ભે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી ચોથી મેચ જમ્મુ કાશ્મીર અને વિદર્ભ વચ્ચે SCA ક્રિકેટ પેવેલિયન સણોસરા, ગ્રાઉન્ડ B ખાતે રમાઈ હતી જેમાં વિદર્ભે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જમ્મુ કાશ્મીરે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા. યાવર હસને 94 બોલમાં 8 ચોગ્ગા સાથે 79 રન બનાવ્યા. કમરાન ઇકબાલે 68 બોલમાં 7 ચોગ્ગા સાથે 54 રન બનાવ્યા. યુદ્ધવીર સિંહે 24 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 42 રન બનાવ્યા. ઓકિબ નબીએ 26 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 40 રન બનાવ્યા. યશ ઠાકુરે 10 ઓવરમાં 73 રન આપીને 3 વિકેટ લીધી. ડી જી નાલકંડે અને યશ કદમે 2-2 વિકેટ લીધી હતી.અમન મોખડેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો વિદર્ભે 48.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 315 રન બનાવ્યા હતા જેમ અમન મોખડેએ 125 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 139 રન બનાવ્યા. સમર્થ આર.એ 108 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 114 રન બનાવ્યા. હર્ષ દુબેએ અણનમ 10 રન બનાવ્યા. યુદ્ધવીર સિંહે 10 ઓવરમાં 69 રન આપીને 3 વિકેટ લીધી. ઓકિબ નબીએ 2 વિકેટ લીધી હતી. વિદર્ભે 5 વિકેટથી મેચ જીતી 4 પોઈન્ટ મેળવ્યા હતા અને અમન મોખડેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
યુવાઓમાં દેશપ્રેમની જ્યોત જલાવવા માટે સુરત મહાનગરપાલિકાએ વેસુ-આભવા રોડ પર 20 એકર જમીનમાં જે 'શહીદ સ્મારક'નું સપનું બતાવ્યું હતું, તે હવે વહીવટી વિલંબનો પર્યાય બની ગયું છે. ફેબ્રુઆરી 2018માં જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત હર્ષોલ્લાસ સાથે કરાયું હતું, તે 6 વર્ષ થવા છતાં હજુ સાકાર થઈ શક્યો નથી. 18થી 24 મહિનામાં પૂર્ણ થનારો આ પ્રોજેક્ટ તંત્રની ઢીલી નીતિને કારણે આજે પણ 'અન્ડર કન્સ્ટ્રક્શન'ના બોર્ડ નીચે દબાયેલો છે. કામગીરીની ગોકળગાય ગતિ52 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સ્મારક દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સૈન્ય સંકુલ બનવાનું હતું. અહીં 124 ફૂટ ઊંચો શહીદ સ્તંભ અને 16 મીટરનું ભવ્ય ‘શૌર્ય દ્વાર’ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માત્ર ઈંટોનું બાંધકામ નથી, પરંતુ ભારતીય સેનાની ત્રણેય પાંખ—ભૂમિ સેના, નૌસેના અને વાયુસેનાના ગૌરવશાળી ઈતિહાસને જીવંત કરતી થ્રી-ડી ગેલેરીઓનું હબ છે. જોકે, કામગીરીની ગોકળગાય ગતિ જોતા યુવાનોને પ્રેરણા ક્યારે મળશે તે સવાલ ઊભો થયો છે. પ્લાનિંગ માત્ર કાગળ પર, કામ ક્યારે પૂરુ થશે?આ સંકુલમાં સૈન્યના અસલી શસ્ત્રો, ટેન્ક અને મિસાઇલોના મોડેલ્સ પ્રદર્શિત કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, 250 બેઠકો ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિયમ અને 4500થી વધુ લોકો એકસાથે ધ્વજવંદન કરી શકે તેવું વિશાળ ‘યુનિટી સ્ક્વેર’ પણ આ પ્રોજેક્ટના મુખ્ય આકર્ષણો છે. પ્રોજેક્ટના વિલંબને કારણે આ સાધન-સામગ્રી અને પ્લાનિંગ માત્ર કાગળ પર જ આકર્ષક લાગે છે, જ્યારે જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. આ પ્રોજેક્ટ તંત્રની ઢીલી નીતિને કારણે પૂર્ણ થયો નથીશહીદ સ્મારકની સાથે અહીં માનસિક શાંતિ માટે ‘પીસ સેન્ટર’ અને ઓક્સિજન પાર્ક તરીકે ‘શાંતિવન’ પણ વિકસાવવાનું નક્કી કરાયું હતું. મેડિટેશન હોલ, લાઇબ્રેરી અને યોગ કેન્દ્ર જેવી સુવિધાઓ ધરાવતું આ સંકુલ સુરતનું ઘરેણું સાબિત થઈ શકે તેમ છે. પરંતુ, શાસકોની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોના ઢીલા વલણને કારણે આ પ્રોજેક્ટ ક્યારે લોકાર્પણ થશે તેની કોઈ સ્પષ્ટ તારીખ તંત્ર પાસે નથી.
વડોદરામાં 31stની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક ડાયવર્ઝન અને ભારદારી પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તાઓ પર એકત્ર થાય છે. ખાસ કરીને ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ), અલકાપુરી રોડ, ચકલી સર્કલ તથા શહેરના અન્ય વિસ્તારોમાં લોકો રોશની કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને અને ઉત્સવ મનાવીને નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઉજવણી દરમિયાન વાહનચાલકોને અડચણ ન પડે, ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(બી) હેઠળની જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, તા. 31 ડિસેમ્બરના સાંજના 6 વાગ્યાથી ઉજવણી પૂર્ણ થાય ત્યાં સુધી નીચેના વિસ્તારોમાં તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. - કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ,- નરહરી સર્કલ (મહારાણા પ્રતાપસિંહ સર્કલ),- સદર બજાર રોડ,- જુનાવુડા સર્કલ (ટાઇમ્સ સ્ક્વેર પેટ્રોલપંપ)થી ડાબી બાજુ વળીને સેવન સીઝ મોલ,- ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળીને પેવેલીયન સર્કલ (નરહરી ફુવારા સર્કલ) થઈને નરહરી સર્કલ,- કમાટીબાગ મીડલ ગેટ થઈને કાલાઘોડા સર્કલ સુધીના રોડની બંને બાજુએ. - અટલ બ્રિજ ઉપર, અકોટા-દાંડીયાબજાર બ્રિજ તથા ફતેગંજ બ્રિજ પર પણ તમામ વાહનો માટે નો-પાર્કિંગ અમલી રહેશે આ જાહેરનામામાંથી બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઈમર્જન્સી સેવાઓ સાથે સંકળાયેલા વાહનો અને હોસ્પિટલ જતા ઈમર્જન્સી વાહનોને મુક્તિ આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરે જાહેર જનતાને અપીલ કરી છે કે, આ નિયમોનું પાલન કરીને ઉજવણીનો આનંદ માણો અને ટ્રાફિક તંત્રને સહકાર આપો, જેથી શહેરમાં સલામત અને આનંદપૂર્વક નવું વર્ષ આવકારી શકાય.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો હતો. આ કાંકરિયા કાર્નિવલના પ્રથમ ચાર દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી 5 લાખ 17 હજારથી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ કાંકરિયા કાર્નિવલ પરિસરની મુલાકાત લીધી હતી. કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસ ગુરુવારે 1.31 લાખ, બીજો દિવસ શુક્રવારે 89 હજાર, ત્રીજો દિવસ શનિવારે 1.20 લાખ અને ચોથો દિવસ રવિવારે રેકોર્ડબ્રેક 2 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા. રવિવારે ભીડ વધતા પુષ્પકુંજ ગેટ નંબર એક ને બંધ કરવો પડ્યો હતોકાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત-નૃત્ય પ્રસ્તુતિઓ, ફૂડ ઝોન તેમજ બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને પ્રવાસીઓએ મજા માણી હતી. રવિવારે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારીના સુર પર લોકો ઝૂમી ઉઠ્યા હતા અને પુષ્પકુંજ ગેટ નંબર એક ને બંધ કરવો પડ્યો હતો. શનિવારે કાંકરિયા કાર્નિવલ બંધ થવાના એક કલાક પહેલા જ લોકોની ભીડ એટલી વધી ગઈ કે તમામ ગેટ બંધ કરી દેવા પડ્યા હતા. કાર્નિવલના જુદા-જુદા ફૂડ સ્ટોલમાંથી 19 સેમ્પલ લીધાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી વિવિધ કુલ 19 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.લેવાયેલા નમૂનાઓમાં મુખ્યત્વે ઢોકળા, ફલેવરડ મિલ્ક, છાસ, મોમોઝ, ચના ચોર ગરમ, ખીચુ, જામુન શોટ, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, ખીરુ, દાબેલી માવો, મિલ્ક શેક, જીરા પુરી, ચાટ, મિલ્ક ટોસ્ટ, સમોસા, ફરસી પુરી, કચોરી તથા જીણી સેવ જેવા ખાદ્ય પદાર્થો છે આ નમૂનાઓ કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ક્રિષ્ના મદ્રાસ કાફે, અમુલ, મુલરાજ કેટરર્સ, મિષ્ટી કિચન, ક્રાઉન બેકરી, ઈડલી ઘર ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ, ગ્રીન ફૂડ સર્વિસ, હેત્વી ફૂડ, એપીકોર હેલ્થ કેર, શુકૃતિ કેટરર્સ, આબાદ ફૂડ્સ પ્રા.લિ., બોમ્બે ભાજીપાઉં એન્ડ સ્ટ્રીટ ફૂડ અને આપણો રાજસ્થાન સહિતના વિવિધ ફૂડ સ્ટોલમાંથી લેવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ સંખ્યામાં લોકો આવતા હોવાને લઈને સુવ્યવસ્થિત અને સંકલિત આયોજન કરવામાં આવ્યું છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે પ્રવેશ-નિષ્ક્રમણની સ્પષ્ટ વ્યવસ્થા, બેરિકેડિંગ, સતત મોનિટરિંગ તેમજ તમામ સ્થળો પર અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ તથા અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ અને માર્ગ નિયંત્રણ અમલમાં મૂકીને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્નિવલ દરમિયાન કાર્યરત વિશેષ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ સાબિત થયો હતોકાંકરિયા પરિસરમાં પરિવાર સાથે આવેલા મુલાકાતીઓમાંથી કેટલાક બાળકો ભીડમાં છુટા પડી ગયાના બનાવો સામે આવ્યા હતા. આવા તમામ કિસ્સાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક અને સંવેદનશીલ રીતે કાર્યવાહી કરીને બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવવાની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં કાર્નિવલ દરમિયાન કાર્યરત વિશેષ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કંટ્રોલરૂમ મારફતે મળતી માહિતીના આધારે સંબંધિત ટીમો ઝડપી કાર્યવાહી કરી શકી, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે. કાર્નિવલ પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છેનાગરિકોની સલામતી અને આરોગ્યને પ્રાથમિકતા આપતાં મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર અને ઇમર્જન્સી સેવાઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સાથે જ સફાઈ, લાઇટિંગ, પીવાના પાણી, શૌચાલય અને માહિતી સહાય કેન્દ્રોની વ્યવસ્થા દ્વારા કોર્પોરેશનના તમામ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી હતી.કાંકરિયા કાર્નિવલ માત્ર મનોરંજનનો ઉત્સવ નહીં પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક આનંદ અને પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવા આવ્યા છે જોકે આ મકાનોમાં મૂળ માલિકની જગ્યાએ અન્ય લોકો રહેતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અન્ય લોકો રહેતા હોવાને લઈને તેઓને નોટિસ આપવામાં આવી હતી. આગામી 15 દિવસમાં 380 જેટલા મકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 46 જેટલા મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 46 મકાનો સીલ થયાહાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવાસ યોજનાના મકાનોમાં કેટલાક લોકો મકાનોને ભાડે આપી દે છે અથવા અન્ય લોકો રહે છે. જેથી તેમને ખાલી કરવા નોટિસ આપી હતી, છતાં પણ તેઓ દ્વારા દરકાર લેવામાં આવી નથી. જેના પગલે મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 46 મકાનો સીલ થયા છે બાકીના મકાનોને પણ સીલ કરવા આજે મળેલી કમિટીમાં સુચના આપવામાં આવી છે. 'ખોટી રીતે રહેનારા લોકોને આવાસ યોજનાના મકાનોમાંથી દૂર કરાશે'જો અધિકારીઓ દ્વારા મકાન ખાલી કરવામાં નહીં આવે તો અધિકારી સામે ખાતાકીય પગલા લેવાશે. એક પછી એક તમામ હાઉસિંગ સ્કીમમાં ખોટી રીતે રહેતા રહીશોને દૂર કરાશે. હાઉસિંગ ના મકાનોમાં ભાડુઆત કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. આવાસ યોજનાના મકાનો બનાવવા પાછળનો ઉદ્દેશ જેના પાસે મકાન નહી તેને મકાન મળે તેવો છે. જેથી ખોટી રીતે રહેનારા લોકોને આવાસ યોજનાના મકાનોમાંથી દૂર કરવામાં આવશે. અધિકારી આ મામલે ઢીલી નીતિ અપનાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત! શરીર પર નહીં થાય દવાની અસર, PM મોદીએ પણ કરી અપીલ
Harmful Effects Of Antibiotics : દેશના અનેક લોકો સામાન્ય બીમાર પડ્યા બાદ ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પોતાના નજીકના દવાના સ્ટોર પર જયા હોય છે અને તેઓ દુકાનદારને બિમારીની માહિતી આપી દવા લેતા હોય છે, જોકે આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. દવા લેવાની આ પદ્ધતિને ધ્યાને લઈને વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે, ભારત ધીમે ધીમે નવી મહામારી તરફ આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ઉપયોગને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ICMR यानि इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च की हाल ही की एक रिपोर्ट बताती है कि निमोनिया और UTI जैसी बीमारियों में Antibiotic दवाएं कमजोर साबित हो रही हैं। इसका एक बड़ा कारण बिना सोचे-समझे इनका सेवन है। इसलिए मेरा आग्रह है कि Doctors की सलाह के बिना Antibiotics दवाएं ना लें।… pic.
આયુર્વેદિક-હોમિયોપેથીક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના આગામી વર્ષ માટેના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ડૉ. સમીર મેમણને પ્રમુખ, ડૉ. હર્ષદ મહેરાને મહામંત્રી અને ડૉ. કેયુર સોનીને ખજાનચી તરીકે નિયુક્ત કરાયા છે. પંચમહાલના આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોકટરોના સંગઠનની વાર્ષિક સાધારણ સભા ગોધરાના વિજય ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસમાં યોજાઈ હતી. આ સભામાં આગામી વર્ષ માટેના સંગઠનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગોધરાના ડૉ. સમીર મેમણની પ્રમુખ તરીકે અને ડૉ. હર્ષદ મહેરાની મહામંત્રી તરીકે પસંદગી થઈ હતી. જ્યારે ડૉ. કેયુર સોનીને ખજાનચીનો કાર્યભાર સોંપાયો હતો. આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં એસોસિએશનના પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શામળાજી હોમિયોપેથીક કોલેજના ડૉ. વિશાલ સોની અને જય જલારામ હોમિયોપેથીક કોલેજના ડૉ. વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ની હાજરીમાં વિવિધ માર્ગો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને બ્લેક ફિલ્મવાળી કારના ચાલકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઝુંબેશના ભાગરૂપે, મોરબીના નવલખી રોડ પર બાયપાસ નજીક SP મુકેશકુમાર પટેલ અને DySP પી.એ. ઝાલાની સૂચના મુજબ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન અને શનાળા રોડ જેવા અન્ય વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે બ્રેથ એનેલોઝર જેવા સાધનોનો ઉપયોગ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો શોધી કાઢ્યા હતા. કાયદાનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બે દિવસ સુધી મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારની વાહન ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.
વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે, ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને. પોલીસ આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે. 7000 પોલીસ જવાનો ખડેપગેસુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, 31મી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે. અંદાજે 7000 જેટલા પોલીસ જવાનો જેમાં હોમગાર્ડ, જીઆરડી અને ખાસ કરીને એસઆરપી (SRP) ની ટુકડીઓનો સમાવેશ થાય છે, તેમને રસ્તા પર ઉતારવામાં આવશે. શહેરના દરેક સંવેદનશીલ વિસ્તાર, ફાર્મ હાઉસ અને દરિયાકિનારાના વિસ્તારોમાં પોલીસની હાજરી વર્તાશે. AI કેમેરા અને ડ્રોન સર્વેલન્સઆ વર્ષે સુરત પોલીસ ‘ડિજિટલ વોચ’ પર વધુ ભાર મૂકી રહી છે. શહેરમાં 50થી વધુ (AI) સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓ, ઓવર સ્પીડ વાહનો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઓટોમેટિક ટ્રેક કરશે. 20 જેટલા હાઈ-ડેફિનેશન ડ્રોન કેમેરા આકાશમાંથી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર નજર રાખશે. ખાસ કરીને જ્યાં માનવ પહોંચ મુશ્કેલ છે, ત્યાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. જે વિસ્તારોમાં કાયમી સીસીટીવી નથી, ત્યાં ખાસ સોલાર બેઝ વાયરલેસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. બ્રેથ એનાલાઈઝર અને નાર્કોટિક્સ કીટથી તપાસપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નશો કરીને વાહન ચલાવનારાઓ માટે આકરી ચેતવણી આપી છે. પોલીસ પાસે 382 જેટલા બ્રેથ એનાલાઈઝર છે, જેમાંથી 190 જેટલા અત્યાધુનિક 'લાઇટ બેઝ' એનાલાઈઝર છે જે દૂરથી જ દારૂ પીધેલા વ્યક્તિને પકડી શકે છે. માત્ર દારૂ જ નહીં, પણ અન્ય કેફી દ્રવ્યોના સેવનને રોકવા માટે એન્ટી-નાર્કોટિક્સ કીટનો ઉપયોગ થશે. શંકાસ્પદ જણાતા વ્યક્તિનો સ્થળ પર જ યુરિન ટેસ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 1100 પ્રોહિબિશન કેસ અને 55 પાસાસુરત પોલીસે માત્ર 31st ની રાતની જ રાહ નથી જોઈ પણ છેલ્લા એક અઠવાડિયાથી ‘પ્રી-એક્શન’ શરૂ કરી દીધું છે. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ (DCB), SOG અને PCB ની ટીમોએ છેલ્લા 7 દિવસમાં 1100 થી વધુ પ્રોહિબિશનના કેસો કર્યા છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા 55 રીઢા ગુનેગારોને પાસા (PASA) હેઠળ જેલભેગા કરાયા છે અને 14 અસામાજિક તત્વોને શહેરની હદ પાર કરવામાં આવ્યા છે. ટ્રાફિક અને એન્ટ્રી-એક્ઝિટ પ્લાનશહેરના તમામ પ્રવેશદ્વારો પર પોલીસની કડક ચોકી ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય પ્રવેશ અને નિકાસ પોઈન્ટ્સ પર 12 જગ્યાએ સઘન ચેકિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. 45 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં લોકોની ભીડ વધુ રહે છે. અહીં ઓવરસ્પીડ અને સ્ટંટબાજી રોકવા માટે ખાસ બંદોબસ્ત રહેશે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે અનેક સ્થળોએ રોડ ડાયવર્ઝન અને રિસ્ટ્રિક્શનના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા માટે ‘શી ટીમ’ તૈનાતનવા વર્ષની ઉજવણીમાં મહિલાઓની છેડતી કે પજવણી ન થાય તે માટે ‘શી ટીમ’ સાદા કપડામાં ભીડ વચ્ચે હાજર રહેશે. કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે છેડતી કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. તલવારથી કેક કાપવા અને સ્ટંટ કરવા પર પ્રતિબંધયુવાનોમાં ફેમસ થવાના હેતુથી જાહેરમાં તલવાર વડે કેક કાપવાની પ્રવૃત્તિ પર પોલીસે પૂર્ણ વિરામ મૂકવાની જાહેરાત કરી છે. તલવાર સાથે કેક કાપનાર કે રસ્તા પર સ્ટંટબાજી કરનાર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 900 બોડી વોર્ન કેમેરા પોલીસકર્મીઓ ઓન ડ્યુટીપોલીસ અને જનતા વચ્ચેના વ્યવહારમાં પારદર્શિતા રહે તે માટે 900 જેટલા પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરીને ડ્યુટી પર રહેશે. જો કોઈ પોલીસ સાથે ગેરવર્તન કરશે અથવા પોલીસ પ્રજા સાથે અયોગ્ય વર્તન કરશે, તો આ કેમેરાના રેકોર્ડિંગને પુરાવા તરીકે ગણવામાં આવશે. આ તમામ કેમેરાનું લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની સફાઈ કામગીરી દરમિયાન થયેલી બેદરકારીને કારણે એક નિર્દોષ નાગરિકનું મોત થયું છે. આ ગંભીર ઘટના બાદ મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંલગ્ન અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે અને અન્યને શો-કોઝ નોટિસ આપી છે. ટાંકીની બહારના મેઈનહોલને બંધ ન કરતા યુવક ખાબક્યો ને મોત નીપજ્યુંગત તારીખ 26 ડિસેમ્બરના રોજ સવારે પાણી વિતરણ કર્યા બાદ માંજલપુર ટાંકી પર ભૂગર્ભની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ઇજારદાર દ્વારા સાંજે લગભગ 7 વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, ટાંકીની બહારના ભાગે આવેલા મેઈનહોલને બંધ કરવામાં આવ્યો નહોતો. આ કારણે સાંજના સમયે ત્યાંથી પસાર થતા વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મેઈનહોલ ચેમ્બરમાં પડી જતાં મોત નીપજ્યું હતું. ફરજ દરમિયાન બેદરકારી સામે આવીમનપાના નિયમો અનુસાર, જાહેર સ્થળોએ કોઈપણ તાંત્રિક કામગીરી દરમિયાન સલામતીના બોર્ડ, સાઇનેજ અથવા બેરિકેડિંગ જેવા પગલાં લેવાના હોય છે. આ કેસમાં આવી કોઈ સાવચેતી ન અપનાવવામાં આવી હોવાથી ફરજ પ્રત્યેની બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે, જેના કારણે એક નિર્દોષ નાગરિકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ હકીકતને ધ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાએ પ્રાથમિક તપાસમાં બેદરકારી જણાતાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ ગણેશભાઈ ભલગામીયાને તાત્કાલિક અસરથી ફરજમાંથી મુક્ત કરી દીધા છે. તેમજ નાયબ કાર્યપાલક એન્જિનિયર હરિકૃષ્ણ લાલજીભાઈ મનાનીને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજવાનું જાહેર કરાયું હતું જોકે તેની તારીખમાં ફેરફાર થયો છે અને હવે આ વાઇબ્રન્ટ સમિટ 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે તેમાં 5000 થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે. જેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને નવી દિશા મળશે અને વિદેશ વ્યાપાર વધુ મજબુત બનશે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 થી 13 જાન્યુઆરી વચ્ચે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમીનાર યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે. AAIMS દ્વારા 85 સગર્ભા મહિલાઓનું સ્ક્રીનીંગ કરાયુ માતૃત્વ તથા પ્રસૂતિ પછીની બીમારી અને મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ જિલ્લાના પડધરી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે એઇમ્સ રાજકોટ ના પ્રસૂતિ અને સ્ત્રી-રોગ વિભાગ દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓ માટે વિશેષ સ્ક્રીનિંગ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં કુલ 85 જેટલી સગર્ભા મહિલાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતુ. ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાનું વિગતવાર મૂલ્યાંકન, સ્ક્રીનિંગ, યોગ્ય પરામર્શ અને સારવાર માટે આ કેમ્પનું આયોજન એઇમ્સ હોસ્પિટલ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. એલ.એન. દોરેરાજનના માર્ગદર્શન હેઠળ તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પ્રસુતિ તથા સ્ત્રીરોગ વિભાગના વડા પ્રો. ડૉ. પિંકી સાહુના વિશેષ વિઝન સાથે, જિલ્લા આરોગ્ય વિભાગની સંકલન ટીમ ના સહયોગથી કરવામાં આવ્યું હતુ.માસિક આઉટરીચ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ આ કેમ્પમાં ગંભીર એનિમિયા, ગર્ભાવસ્થામાં વધેલું બ્લડ પ્રેશર, ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ, અગાઉના સિઝેરિયન કેસ, હિમોગ્લોબિન પેથી (સિકલ સેલ અને થેલેસેમિયા), થાઇરોઇડની તકલીફ, નેગેટિવ બ્લડ ગ્રુપ તથા અન્ય તબીબી અથવા પ્રસૂતિ સંબંધિત જટિલતાઓ જેવી ઉચ્ચ જોખમી પરિસ્થિતિઓ માટે સગર્ભા સ્ત્રીઓની વ્યાપક તપાસ કરવામાં આવી હતી. મનપાના ચોપડે રોગચાળો ઘટ્યો, ડેન્ગ્યુનો વધુ એક કેસ નોંધાયો રાજકોટમાં શિયાળાની ઋતુમાં રોગચાળો વકર્યો છે. જેમાં પણ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. આ સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં ડેન્ગ્યુનો વધુ એક કેસ નોંધાયો છે. ગત સપ્તાહમાં શરદી- ઉધરસનાં 929 તો સામાન્ય તાવના 633 દર્દી સામે આવ્યા છે. આ ઉપરાંત ઝાડા - ઉલ્ટીના 138 તો ટાઇફોઇડ તાવનો 1 સહિત વિવિધ રોગનાં 1702 કેસ નોંધાયા છે. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2315 કેસ નોંધાયા હતા. જેની સામે ચાલુ સપ્તાહે 1702 કેસ નોંધાયા છે એટલે કે કેસમાં ઘટાડો થયો છે. યાર્ડમાં 2 લાખ મણ મગફળી ઠલવાઇ ખરિફ સિઝનને 3 મહિના થયા છતાં મગફળી જેવી કૃષિ પેદાશોની આવક હજુ જંગી છે. સરકારી ખરીદી વચ્ચે પણ યાર્ડમાં જણસીના ઢગલા થઇ રહ્યા છે. ચાલુ વર્ષે મબલખ ઉત્પાદન થયું હોવાથી મગફળી ખુટે તેમ ન હોવાનું ચિત્ર છે.મગફળીમાં ધમધોકાર આવકો હજુ ચાલુ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2 લાખ મણ મગફળી ઠલવાઇ ચૂકી છે. યાર્ડમાં જુના-પડતર માલનો નિકાલ થતા આજે ફરી નવી આવકની છુટ્ટ આપવામાં આવી હતી અને 2.10 લાખ મણની જંગી આવક થઇ હતી. અન્ય કૃષિ ચીજોની પણ મોટી આવક હતી. કુલ 1450 વાહનો ખડકાયા હતા. જેમાં કપાસમાં 16000 મણ, સોયાબીનમાં 6500 મણ, અડદમાં 2500 મણ, ઘઉંમાં 8000 મણ, મગમાં 3000 મણ, ચણામાં 4500 મણ, લસણમાં 3400 મણ, શીંગફાડામાં 10300 તથા તલમાં 5600 અને જીરૂમાં 6500 મણની આવક થઇ હતી.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે. વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી મારામારી કરી રોફ જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા સાટીયાને પોલીસે ઝડપી પાડી, તેને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. રાણા દેવાએ યુવકને જાહેર રસ્તા પર ઢોર માર માર્યો હતોથોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો, જેમાં રાણા દેવા સાટીયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેર રસ્તા પર ઢોર માર મારતો જોવા મળ્યો હતો. આ શખ્સ પોતાની દાદાગીરીનો રુઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો. વાયરલ સીસીટીવી વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈ વરાછા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તે જ વિસ્તારમાં લઈ જઈ માફી મંગાવીલોકોમાં ફેલાયેલો ભય દૂર કરવા માટે વરાછા પોલીસે આજે આરોપી રાણા દેવા સાટીયાને તે જ વિસ્તારમાં લઈ જઈ પહોંચી હતું. જે શખ્સ થોડા સમય પહેલા જાહેર રસ્તા પર લોકો પર હાથ ઉપાડતો હતો, તે પોલીસના સકંજામાં આવતા જ 'બિલાડો' બની ગયો હતો. પોલીસે આરોપી પાસે જાહેરમાં બંને હાથ જોડાવી કરગરાવ્યો હતો અને સ્થાનિક લોકોની સામે જ તેની શાન ઠેકાણે લાવી હતી. રીઢો ગુનેગારે 3થી 4 જેટલા ગુનાઓ આચરેલાપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાટીયા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનોમાં 3થી 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો. આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે અને પોલીસની આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે.
CBI કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી છે. આરોપી કૌશિક કારેલિયા, જેઓ તત્કાલીન એપ્રેઝર/પ્રિવેન્ટિવ ઓફિસર, કંડલા SEZ માં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. તેઓને કોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કઠોર કેદ 63 લાખના દંડની સજા ફટકારી છે. મદદગારી બદલ પત્નીને એક વર્ષની કેદ અને 50 હજારનો દંડતેમની પત્ની પૂજા કારેલિયાને આ કેસમાં સહાયતા માટે એક વર્ષની કેદ અને 50 હજારના દંડની સજા આપવામાં આવી છે. CBI ને 30 સપ્ટેમ્બર, 2013 ના રોજ આરોપી કૌશિક કારેલિયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેઓની સામે આરોપ હતો કે આરોપીએ 01 સપ્ટેમ્બર, 2008થી 31 માર્ચ, 2013 ના સમયગાળામાં પોતાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 19.86 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. જે તેમની આવક કરતાં 130 % વધારે હતી. તપાસ દરમિયાન ચેક પીરિયડ વર્ષ 2004 થી 2013 સુધી વિસ્તારવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા પછી CBI એ 03 સપ્ટેમ્બર, 2014 ના રોજ આરોપી કૌશિક કારેલિયા અને તેમની પત્ની પૂજા કારેલિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓએ 57.60 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. જે તેમની જાણીતી આવક કરતાં 183.5 ટકા વધારે છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર ગેરકાયદેસર રીતે બનેલા સ્પીડ બ્રેકરને કારણે એક્ટિવા સ્લીપ થતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનામાં બે દીકરીઓએ પોતાના પિતા ગુમાવ્યા છે. મૃતક યુવાનનું નામ સંદીપ મધુસુદનભાઈ જાની (ઉંમર 34) હતું, જે મૂળ માળીયા (મી.)ના ઘાટીલા ગામનો વતની હતો અને હાલ મોરબીના નાની વાવડી પાસે પરિવાર સાથે રહેતો હતો. સંદીપ રફાળેશ્વર પાસે આવેલા વિનાયક પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. ગત તા. 26 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે સંદીપ પોતાના એક્ટિવા પર કારખાનેથી કામ પતાવીને ઘર તરફ જઈ રહ્યો હતો. તે સમયે મોરબી લીલાપર કેનાલ રોડ પર બોરીયા પાટા પાસે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે તેનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં સંદીપને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક પહેલા મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે સંદીપની બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આવતીકાલે મંગળવારના રોજ બપોરે સેકટર-17 પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે મળવા જઈ રહી છે. આ સભામાં શહેરના પરિવહન માળખાને સુધારવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના અને પાલતુ શ્વાનની નોંધણી જેવા મહત્વના 10 મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. જોકે આ એજન્ડાની સાથે એક અધિકારીની બઢતીને લઈને શાસક પક્ષમાં સર્જાયેલો આંતરિક રોષ વિવાદનું કેન્દ્ર બને તો નવાઈ નહીં. આ 2 TPની મુસદ્દારૂપ યોજનાઓને મંજૂરી માટે મુકાશે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આવતીકાલે યોજાવા જઈ રહી છે. આ સામાન્ય સભામાં શહેરના વિકાસ માટે વાવોલ-કોલવડા TP-34 અને વાવોલ-ઉવારસદ TP-35ની મુસદ્દારૂપ યોજનાઓને મંજૂરી અર્થે મૂકવામાં આવશે. આ ઉપરાંત પરિવહન સેવાઓના સંચાલન માટે જાહેર કંપની SPV બનાવવાની કમિશનરની ભલામણ અને NPS યોજના અંતર્ગત કર્મચારીઓના ફાળામાં 14%નો લાભ આપવા જેવી બાબતો પણ કાર્યસૂચિમાં સામેલ છે. અધિકારીને આપવામાં આવેલી બઢતી વિવાદનું કેન્દ્ર બની શકે છેજોકે આ સભામાં એક તરફ વિકાસના કામોની ચર્ચા થવાની છે. ત્યારે બીજી તરફ એક અધિકારીને આપવામાં આવેલી બઢતી વિવાદનું કેન્દ્ર બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક અધિકારીને બઢતી આપવા માટેની દરખાસ્ત મેયર સમક્ષ આવી હતી. આ બાબતે મેયર, ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં બહાર આવ્યું હતું કે, ઉક્ત અધિકારીની કેડરમાં બઢતીના નિયમો હજુ સુધી ઘડવામાં આવ્યા નથી. જો કે તંત્ર દ્વારા ઉક્ત અધિકારીને બઢતી આપી દેવામાં આવતા તેમણે ચાર્જ પણ સંભાળી લીધો છે. ઉચ્ચ સ્તરે રજૂઆતોનો દોર ચાલ્યોઆ મુદ્દે કોર્પોરેશનના હોદ્દેદારો અને કોર્પોરેટરો જાહેરમાં વાત કરવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા હતા. તેથી આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆતોનો દોર ચાલ્યો હતો. જો કે હવે બઢતીના નિર્ણયને રદ કરવામાં આવે તો તંત્રનું ખરાબ દેખાય તેવી સંભાવના છે. જ્યારે બઢતી યથાવત રહે તો હોદ્દેદારો અને કોર્પોરેટરો માત્ર રબર સ્ટેમ્પ હોવાની છાપ ઉપસી આવે એમ છે. શાસક પક્ષના સભ્યોમાં અસંતોષની લાગણી!લાંબા સમયથી ચાલી રહેલી આ અસમંજસ બાબતે શાસક પક્ષના સભ્યો અનેક વખત ખાનગી બેઠકો કરેલી છે. મેયર કક્ષાએથી બઢતી મામલે સામાન્ય સભામાં કોઈ દરખાસ્ત આવશે તેવું ઘણાં સભ્યને લાગી રહ્યું હતું. જો કે છેલ્લી ત્રણ સામાન્ય સભામાં આ બાબતનો કોઈ ઉલ્લેખ થયો ન હતો. જેથી શાસક પક્ષના સભ્યોમાં અસંતોષની લાગણી વધી રહી છે. 44માંથી 43 સભ્યો શાસક પક્ષનાઆ બાબતે કાલે યોજાનારી સામાન્ય સભામાં રજૂઆત કરવાનું કેટલાક સભ્યો એ મન બનાવી લીધું હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ગાંધીનગર મનપાના 44 સભ્યોમાંથી 43 સભ્યો શાસક પક્ષના હોવાથી સામાન્ય રીતે સભા શાંત રહેતી હોય છે. પરંતુ આ વખતે બઢતીના વિવાદને લઈને કેટલાક સભ્યો આક્રમક વલણ અપનાવી શકે છે.
ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એંથમ સર્કલ પાસેના ભક્તિબાગ મેદાન ખાતે સ્વામિનારાયણ ‘ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ’ દ્વારા એક અલૌકિક અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડી મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. શાકોત્સવમાં સંતો-મહંતોની દિવ્ય ઉપસ્થિતિઆ દિવ્ય શાકોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ઉચ્ચ સંતો અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. જેમાં ખાસ કરીને લાલજી મહારાજ, વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર, તેમજ મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજે હાજરી આપી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. સંતોના દર્શન અને આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સેવા અને વ્યવસ્થાનું અનોખું ઉદાહરણઆટલા મોટા પાયે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે 2000થી વધુ સ્વયંસેવકોએ ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળી હતી. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ જ ભક્તો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. શિસ્તબદ્ધ રીતે હજારોની મેદનીને પ્રસાદ વહેંચવાનું કાર્ય પ્રશંસનીય રહ્યું હતું. પરંપરાગત દેશી ચૂલા પર ભોજન તૈયાર કરાયુંશાકોત્સવમાં ભોજન તૈયાર કરવા માટે વિશાળ રસોડું ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક સાધનોને બદલે પરંપરાગત દેશી ચૂલા પર ભોજન તૈયાર કરાયું હતું. પ્રસાદની સામગ્રી પર નજર કરીએ તો બાજરાના રોટલા 12,000 કિલો લોટમાંથી શુદ્ધ અને ગરમાગરમ રોટલા તૈયાર કરાયા હતા. 20,000 કિલો રીંગણાના શાક માટે આશરે 1,875 કિલો ઘી અને મસાલાનો ઉપયોગ થયો હતો. 10,000 કિલો ખીચડી અને 4,500 લીટર સ્વાદિષ્ટ કઢીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. શાકોત્સવનું ઐતિહાસિક મહત્વઆ પરંપરા પાછળ ભગવાન સ્વામિનારાયણનો મહિમા જોડાયેલો છે. વર્ષ 1887માં લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ બે મહિના સુધી રોકાયા હતા. તે સમયે તેમણે પોતાના હાથે રીંગણાનું શાક વઘારીને ભક્તોને પ્રેમપૂર્વક જમાડ્યા હતા. ભગવાનની આ લીલા અને યાદને જીવંત રાખવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં ‘શાકોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 60 વર્ષીય વૃદ્ધા અયોધ્યા જવા માટે ખરીદી કરવા આવ્યાં હતા. તે સમયે અચાનક તેઓને ગભરામણ થતા ટેબલ પર બેઠા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા સેકન્ડોમાં જ ઢળી પડ્યાં હતા. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન પટેલનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનાબેન પટેલ તેમના પરિવાર સાથે અયોધ્યા ફરવા જવાના હતા, જેના માટે તેઓ મોજડી ખરીદવા ચોરગલી આવ્યા હતા. સવારે 11 વાગ્યા આસપાસ તેઓ એક ફરસાણ સેન્ટર બહાર પહોંચતા વૃદ્ધાને ગભરામણ થવા લાગી હતી. જેને પગલે બાજુમાં ઉભેલા એક મહિલાએ ભાવનાબેનને ટેબલ ઉપર બેસાડ્યા હતા. ત્યારબાદ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ભાવનાબેન સેકન્ડોમાં જ ઢળી પડ્યા હતા. જાગૃત નાગરિકે CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યોઆ ઘટના બનતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. એક જાગૃત નાગરિકે ભાવનાબેનને સીપીઆર (CPR) આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનાબેનના નિધનથી પરિવારમાં શોકનો માહોલહોસ્પિટલમાં ફરજ પરના તબીબે ભાવનાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ભાવનાબેનના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. મોગરવાડી, ભોલાભાઈની ચાલીમાં રહેતા ભાવનાબેનના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
તમારા રસોડામાં પડેલો ટપરવેરનો ડબ્બો હોય કે આકાશમાં ઊડતું સ્પિરિટ એરલાઇન્સનું વિમાન...આ માત્ર લોગો કે બ્રાન્ડ્સ નથી, આ અમેરિકના મધ્યમ વર્ગની શાન હતી, અમેરિકાના સક્સેસનું પ્રતીક હતી. પણ આજે? આજે આ શાન હરાજીની સૂડીએ ચડી છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ જે નથી જોયું, તે 2025માં જોઈ રહ્યું છે. 717 દિગ્ગજ કંપનીઓએ નાદારી નોંધાવી છે. આ આંકડો 2008ની વૈશ્વિક મહામંદી પછીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે દુનિયા અમેરિકા તરફ આશાભરી નજરે જોઈ રહી છે, ત્યારે અમેરિકા પોતે જ પોતાના ઘરમાં આર્થિક આત્મદાહની તૈયારી કરી રહ્યું છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી અર્થતંત્રને ટ્રંપની પોલિસી ઉધઈને જેમ ખાઈ રહી છે. જેની અસર અમેરિકન્સ અને ભારત પર કેવી પડશે આજે તેની વાત કરીએ નમસ્કાર થયું કંઈક એવું છે કે અમેરિકામાં આજે કોર્પોરેટ નાદારીનો જુવાળ આવ્યો છે. સામાન્ય રીતે મંદી કુદરતી રીતે આવતી હોય છે, પણ આ વખતે અમેરિકન મંદીના વિલન ટ્રમ્પ પોતે છે. ડોનાલ્ડ ટ્રમ્પની બે નીતિઓ એટલે કે ટેરિફ એગ્રેશન અને ઝીરો ઈમિગ્રેશન પોલિસી જે ઉપરથી રાષ્ટ્રવાદી લાગે છે, પણ અંદરથી તે અમેરિકાના આર્થિક પાયાને હચમચાવી રહી છે. શું કહે છે SP ગ્લોબલના ડેટા SP ગ્લોબલના ડેટા મુજબ, 2024-25ના વર્ષમાં 717 કંપનીઓએ દેવાળું ફૂંક્યું છે. કારણ? ટ્રમ્પના બે નિર્ણયો. જેની અસર મોંઘવારી તરીકે સામે આવી અને લોકોની ખરીદ શક્તિ ઘટી. મોંઘી વસ્તુઓ ખરીદવા અમેરિકન્સ પાસે પૈસા નથી જેના લીધે પ્રોડક્ટની માગ ઘટી છે અને એન્ડ પ્રોડક્ટમાં અમેરિકાની કંપનીઓ ડૂબવા લાગી છે. જ્યારે 1930માં ટેરિફથી મહામંદી આવી જેમ ધરતી ગોળ છે તેમ ઇતિહાસનું પણ કંઈક એવું જ છે. હંમેશા પુનરાવર્તિત થાય છે. 1930માં અમેરિકાએ સ્મૂટ-હોલી ટેરિફ એક્ટ લાગુ કર્યો હતો. ઉદ્દેશ્ય હતો આત્મનિર્ભરતા, પણ પરિણામ આવ્યું વૈશ્વિક મહામંદી. અમેરિકામાં બહારથી આવતી વસ્તુઓ મોંઘી થઈ અને 33 ટકા ઈમ્પોર્ટ ઘટ્યું. અમેરિકાએ આ મહામંદી પરથી શીખ લીધી કે નહીં તે રિસર્ચનો ટોપિક છે પણ ટ્રમ્પે જરૂર નથી લીધી તે આજની પરિસ્થિતિ કહે છે. કારણ કે આજે 95 વર્ષ પછી, ટ્રમ્પ ફરી એ જ રસ્તે છે. ટેરિફ પાછળ ટ્રમ્પનો પ્લાન સૌથી પહેલા ટેરિફ શું છે તે જાણીએ. ટેરિફના લીધે બીજા દેશોમાંથી જે વસ્તુઓ અમેરિકામાં આવે છે તેના ભાવ વધી જાય છે. ટેરિફ પાછળ ટ્રમ્પનો ઉદ્દેશ્ય છે વિદેશી વસ્તુ મોંઘી થાય, સરકારની આવક વધે અને લોકો ઘરઆંગણે ઉત્પાદિત થયેલી વસ્તુનું વેચાણ વધે અને લોકો અમેરિકન વસ્તુ વાપરે. 83 લાખ મજૂરોને હાંકી કાઢશે ટ્રંપ ઝીરો ઈમિગ્રેશન' એટલે કે ખેતરોમાં લણણી કરનારા વિદેશી મજૂરો અને બાંધકામ ક્ષેત્રના કામદારોનો સફાયો. જ્યારે મજૂર નથી મળતા, ત્યારે મજૂરી વધે છે, અને અંતે ટામેટાંથી લઈને મકાન સુધી બધું મોંઘું થાય છે. ટ્રમ્પ સરકારનો અંદાજ છે તેઓ ઝીરો ઈમિગ્રેશન પોલિસીથી અંદાજે 13થી 83 લાખ લોકોને દેશનિકાલ કરશે. અને જ્યારે ટેરિફ અને ઝીરો ઈમિગ્રેશન ભેગું થયું ત્યારે અમેરિકામાં સ્ટેગફ્લેશનની પરિસ્થિતિ આવી. જેની પાંચ અસરો અમેરિકામાં જોવા મળી છે. 1) ટેરિફથી કાચા માલનો ખર્ચ વધ્યો 2) મજૂરી ખર્ચ વધ્યો 3) કંપનીઓના નફાનું માર્જિન ઘટ્યું 4) ફુગાવાથી વ્યાજદરો ન ઘટ્યા 5) નાના ધંધાઓ ડબલ માર સહન કરી શક્યા નહીં પરિણામે 717 કંપનીઓ નાદાર થઈ છે, તેમાં હજારો નવી કંપનીઓ જોડાશે તેવી પણ શક્યતા છે. આજે આ સ્થિતિ છે તો પહેલા કેટલી કંપનીઓ નાદાર થઈ હતી તે પણ જાણવું પડે. અમેરિકામાં ક્યારે ક્યારે કંપનીઓ ડૂબી? સ્પિરિટ એરલાઈન્સ (સસ્તી હવાઈ સેવા), રાઈટ એઈડ (મેડિકલ સ્ટોર ચેઈન), જોઆન ફેબ્રિક્સ (કાપડ અને ક્રાફ્ટ સ્ટોર), ફોરેવર 21 (લેટેસ્ટ ફેશન કપડાં), ડેલ મોન્ટે ફૂડ્સ (પેકેજ્ડ ફળ અને શાકભાજી), પાર્ટી સિટી (પાર્ટી-ડેકોરેશન સ્ટોર), 23 એન્ડ મી(DNA ટેસ્ટિંગ અને પૂર્વજોની તપાસ), હૂટર્સ (ડાઇનિંગ અને રેસ્ટોરાં), લ્યૂમિનાર ટેક્નોલોજીસ (સેલ્ફ-ડ્રાઈવિંગ કાર માટે સેન્સર અને સોફ્ટવેર) દેવું 8.45 લાખ કરોડ ડોલરને પાર આ એ કંપનીઓ છે જે લાખો અમેરિકનોને રોજગારી આપતી હતી. હવે આ સંકટમાં બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે.2024ના ત્રીજા ક્વાર્ટરમાં અમેરિકન નોન-ફાઈનાન્શિયલ કંપનીઓ પર કુલ દેવું 8.45 લાખ કરોડ ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. ટ્રંપ આ પાંચ સેક્ટરના સૌથી મોટા દુશ્મન સેક્ટર મુજબ અસરની વાત કરીએ તો સૌથી મોટો ફટકો એગ્રિકલ્ચર, ત્યાર બાદ મેન્યુફેક્ચરિંગ, બાંધકામ, ફાર્માસ્યુટિકલ્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને પડ્યો છે. નેશનલ એસોસિએશન ઓફ હોમ બિલ્ડર્સના અંદાજ મુજબ, તાજેતરના ટેરિફ નિર્ણયો એક સામાન્ય ઘરની કિંમતમાં 10,900 ડોલરનો વધારો કરી શકે છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની વાત કરીએ તો દિગ્ગજ કંપનીએ અંદાજે 56 હજાર કરોડ રૂપિયાના જંગી દેવા સાથે નાદારી નોંધાવી છે. નવી નોકરીમાં 88.44% નો લકવો અમેરિકામાં ગયા વર્ષે દર મહિને સરેરાશ 1 લાખ 47 હજાર નવી નોકરીઓ ઊભી થતી હતી પણ આ વર્ષે મહિને માંડ સરેરાશ 17 હજાર નવી નોકરીઓ પેદા થઈ રહી છે. જાન્યુઆરી 2025 સુધીમાં 10 લાખ લોકોની નોકરીને અસર થઈ હતી. બેરોજગારી દર 4.6 ટકાએ પહોંચી ગયો છે જે છેલ્લા 4 વર્ષનો સૌથી વધુ છે. માત્ર નવેમ્બર મહિનામાં જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે 70 હજાર નોકરીઓ ગુમાવી છે. આર્થિક અસર જ્યારે તમે ચીન પર 60% અને બાકીના વિશ્વ પર 20% ટેરિફ લગાવો છો, ત્યારે તે ટેક્સ વિદેશી દેશો નથી ચૂકવતા, પણ અમેરિકન આયાતકારો ચૂકવે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, આનાથી સામાન્ય અમેરિકન પરિવાર પર દર વર્ષે 4 હજાર ડોલર એટલે કે આશરે 3.30 લાખ રૂપિયાનો વધારાનો બોજ પડ્યો છે. રાજકીય અસર ટ્રમ્પનો ઝીરો ઈમિગ્રેશન પોલિસીનો દાવ અમેરિકન્સને ખુશ કરવામાં ખૂબ કામ લાગ્યો પણ તેણે અમેરિકાના અર્થતંત્રને હલાવીને રાખી દીધું છે. ટ્રંપના રાજકીય પક્ષને ખૂબ ફાયદો થયો પણ પરિણામ અમેરિકાના લોકોએ ભોગવવું પડ્યું છે. લેબર માર્કેટ પર અસર જો 83 લાખ લોકોને દેશનિકાલ કરવામાં આવે, તો અમેરિકાની GDP 7.4% ઘટી શકે છે. 2024ની સરખામણીમાં 2025માં નાદારીના કેસોમાં 14% નો વધારો થયો છે, જે 15 વર્ષની ટોચ દર્શાવે છે. પરિવાર પર 3.25 લાખનો બોજ વધ્યો અમેરિકન્સ અત્યારે બે ભાગમાં વહેંચાયેલા છે. એક પક્ષ આને અમેરિકા ફર્સ્ટ કહી રહ્યો છે, જ્યારે બીજો પક્ષ આને ઇકોનોમિક સુસાઇડ કહી રહ્યો છે. પણ એક ભારતના એંગલથી મને લાગી રહ્યું છે કે જો ટ્રંપના માથે આવું જ વેપારી ભૂત ધૂણતું રહેશે તો અમેરિકા તેની ગ્લોબલ લીડરશિપ ગુમાવી રહ્યું દેશે. પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના ડેટા મુજબ, આ ટેરિફના કારણે દરેક અમેરિકન પરિવાર પર વાર્ષિક 4,000 ડોલર એટલે કે ભારતીય રૂપિયા મુજબ આશરે 3.30 લાખ રૂપિયાનો વધારાનો ટેક્સ બોજ પડશે. આ ટેક્સ ચીન નથી ચૂકવતું, અમેરિકન ગ્રાહક ચૂકવે છે. જ્યારે તમે વિશ્વ માટે દરવાજા બંધ કરો છો, ત્યારે માત્ર બહારના લોકો નથી અટકતા, તમારી અંદરની આર્થિક વૃદ્ધિ પણ ગૂંગળાઈ જાય છે. 1991ની ભારતની આર્થિક મંદી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઈમિગ્રેશન પોલિસીથી અમેરિકા જ ખોટમાં જ્યારે અમેરિકા મેક્સિકોની સરહદેથી એક ખેતમજૂરને પાછો કાઢે છે, ત્યારે કેલિફોર્નિયાના ખેતરોમાં પાક બગડે છે. પાક ઓછો એટલે શાકભાજી મોંઘા. જ્યારે ન્યુયોર્કનો એક મધ્યમ વર્ગનો માણસ શાકભાજી માટે વધુ પૈસા ખર્ચે છે, ત્યારે તે ફોરેવર 21ના કપડાં કે પાર્ટી સિટીની વસ્તુઓ ખરીદવાનું બંધ કરે છે. અંતે, એ અમેરિકન કંપનીઓ નાદાર થાય છે અને લાખો અમેરિકનો બેરોજગાર બને છે. અમેરિકાની થાળીની મોંઘવારી અને બોર્ડર પરની પોલિસી વચ્ચે આ સીધો સંબંધ છે. ડોલરિયા સપનાને લાગશે બ્રેક આપણા હકની વાત કરીએ તો ગુજરાતના હજારો યુવાનો આજે પણ ડોલરના સપના જોઈ રહ્યા છે. વિદેશ મોહ હજું પણ છે અને લોકો સારા જીવન માટે કે ડોલરિયા સપના માટે અમેરિકા જવા માગે છે. પણ યાદ રાખજો! જો ટ્રમ્પની ઝીરો ઈમિગ્રેશન પોલિસી કડક થઈ, તો માત્ર ગેરકાયદે જ નહીં, પણ H1-B વીઝા ધારકો માટે પણ મુશ્કેલી વધશે. એટલે અમદાવાદ કે બેંગલુરુની IT કંપનીઓના એક્સપોર્ટમાં ઘટાડો. બીજી બાજુ, અમેરિકામાં મોંઘવારી વધશે તો ભારતથી IT સેક્ટરના લોકો જે અમેરિકા જઈ રહ્યા છે તેમાં ઘટાડો થશે. શાકભાજી ખરીદવા કરકસર કરતો અમેરિકન સુરતથી આવેલી ડાયમંડ રિંગ નહીં જ ખરીદી શકે. અમેરિકા છીંક ખાય તો આખી દુનિયાને શરદી થાય છે, અને અત્યારે તો અમેરિકાને ન્યુમોનિયા થવાના લક્ષણો છે. તો દુનિયામાં તેની શું અસર થશે તે સમજી શકાય છે. જો આવું ને આવું ચાલ્યે રાખશે તો આવનારા સમયમાં 3 મોટી સંભાવના છે. 1) સ્ટેગફ્લેશન 2) કોર્પોરેટ કપાત 3) ગ્લોબલ શિફ્ટ ટૂંકમાં અમેરિકામાં ચીજવસ્તુઓના ભાવ આસમાને હશે પણ આર્થિક વિકાસ દર પાતાળમાં હશે. 717 નાદાર કંપનીઓનો આંકડો વધીને 1000ને પાર પણ કરી શકે છે. અને ત્રીજું, દુનિયાના રોકાણકારો અમેરિકાને છોડીને ભારત કે બીજા દેશો તરફ વળશે. અમેરિકાની જોઈન્ટ ઈકોનોમિક કમિટીના ડિસેમ્બર 2024ના રિપોર્ટ મુજબ ટ્રંપ આવા જ નિર્ણયો કરતા રહેશે તો 2028 સુધીમાં... અને છેલ્લે….. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ગ્રેટ બનાવવા માંગે છે, પણ સવાલ એ છે કે... શું ખાલી ખિસ્સા અને ખાલી ફેક્ટરીઓ સાથે કોઈ દેશ મહાન બની શકે ખરો? જો આવું ને આવું ચાલ્યા રાખશે તો અમેરિકા ફરી 1930 જેવી મંદીથી દૂર નથી. આ ટ્રમ્પ ટર્બ્યુલન્સ ગ્લોબલ ઈકોનોમીને કેવું હચમચાવશે ટૂંક સમયમાં ખબર પડી જશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી 3 દિવસ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં 3 ASP, 3 DYSP, 27 પીઆઇ, 42 પીએસઆઈ, 620 પોલીસ કર્મી અને 250 હોમગાર્ડનો સમાવેશ થાય છે. આ બંદોબસ્તમાં 112 જન રક્ષણ કુલ 23 વાન, 80 મોટર સાયકલ, 175 બોડી વોર્ન કેમેરા, 17થી વધુ બ્રેથ એનેલાઇઝર આપવામાં આવ્યા છે. આખા જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ આયોજન ની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 2 જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી તપાસ કરવામાં આવશે. 112નું મોનીટરીંગ પણ સતત કરવામાં આવશે. લોકોને પણ અપીલ છે કે ગેરકાયદે પ્રવૃત્તિથી દૂર રહે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરે. અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક મોરબી રોડ પર એચપી પેટ્રોલ પંપ સામેના રોડ પર સાંજે 7.30 વાગ્યે મહિલાને અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલાની ઓળખ થતા તે મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં સુમલીબેન નગરૂભાઇ બામણીયા (ઉ.વ.45) હાોવનું જાણવા મળ્યું હતું. મૃતકના પતિ હયાત નથી. તેણીને સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા હોવાનું સામે આવ્યું છે. પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે. રાજકોટમાં સુમલીબેન યાર્ડમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે. અજાણ્યા યુવકનું વાહનની ઠોકરે મોત બીજા બનાવમાં રાજકોટના કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશન નજીક હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજે 7 વાગ્યે કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશન નજીક અજાણ્યો આશરે 35 થી 38 વર્ષનો એક યુવાન કોઇ વાહનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થયેલી હાલતમાં રોડ પર પડયો હતો યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જેનું સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફને કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે મૃતકના વાલીવારસ અંગે તપાસ હાથ ધરી છે. પ્રૌઢનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત રાજકોટ શહેરના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં મનસુખભાઇ મોહનભાઇ સિતાપરા (ઉ.વ.50) નામના પ્રૌઢે સાંજે ઘરમાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મનસુખભાઇ સિતાપરા સાંજે ઘરે એકલા હતાં. આ વખતે પાડોશી દુધ આપવા આવતાં તેણે મનસુખભાઇને લટકતાં જોતાં દેકારો મચાવી દેતાં બીજા લોકો એકઠા થઇ ગયા હતાં. મનસુખભાઇના પુત્ર, પત્નિ રમાબેન સહિતને જાણ કરતાં તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. દરમિયાન કોઇએ જાણ કરતાં 108 આવી તપાસી મનસુખભાઇને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતા બી-ડિવીઝન પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર મનસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મનસુખભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં ગઈકાલે તે ઘરે એકલા હતાં તે વખતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ આગામી 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે માં અંબાનો જન્મદિવસ, જેને લઈને ગિરનાર પર્વત પર ભક્તિમય માહોલ જામશે.ગિરનારના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો માઈભક્તોની હાજરીમાં વિશેષ ધાર્મિક વિધિઓ યોજાશે. આ ઉત્સવ વહેલી સવારના 07:00 વાગ્યાથી શરૂ થઈ બપોરના 02:00 વાગ્યા સુધી ચાલશે, જેમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. મહોત્સવના પ્રારંભે માતાજીને ગંગાજળ અને દૂધથી પવિત્ર અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ શ્રીસૂક્તના પાઠ અને વિશ્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે માતાજીને સોળ શૃંગાર સજી વિશેષ અલૌકિક રૂપમાં દર્શન કરાવવામાં આવશે.શુભ મુહૂર્તમાં મંદિરના શિખર પર નૂતન ધજા ચડાવવામાં આવશે. બપોરે માતાજીની ભવ્ય મહાઆરતી બાદ થાળ ધરવામાં આવશે અને ત્યારબાદ પધારેલા તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.પુરાણો મુજબ, 52 શક્તિપીઠોમાં ગિરનારની આ પીઠ 'ઉદયનપીઠ' તરીકે પૂજાય છે. જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા, ત્યારે દેવીના ઉદર (પેટ) નો ભાગ અહીં પડ્યો હતો. પર્વતોના પિતામહ હિમાલયના પરદાદા ગણાતા ગિરનાર પર આ સ્થાનક અત્યંત જાગૃત મનાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થતાં સતી પાર્વતીએ યજ્ઞકુંડમાં દેહત્યાગ કર્યો હતો. શિવજીએ સતીના દેહ સાથે તાંડવ શરૂ કરતા સૃષ્ટિના રક્ષણ માટે વિષ્ણુ ભગવાને ચક્ર છોડ્યું હતું, જેનાથી નિર્મિત 52 શક્તિપીઠોમાંની એક આ પવિત્ર ઉદયનપીઠ છે.આ વખતે મંદિરના બંને પૂજ્ય મહંતશ્રીઓ બ્રહ્મલીન થયા હોવાથી, સમગ્ર મહોત્સવ જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ઉજવાશે. કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારના માર્ગદર્શન હેઠળ મંદિરના પૂજારીઓ અને સ્ટાફ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અજય ઝાલા બોટાદ યુવા કોળી સમાજના પ્રમુખ બન્યા:ગઢડામાં ઢોલ-નગારા સાથે ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું
ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા ગઢડા શહેરના યુવા આગેવાન અજય સામતભાઈ ઝાલાની બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અજયભાઈ ઝાલા ગઢડા નગરપાલિકાના સદસ્ય પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમની આ નવી જવાબદારી બદલ સમાજમાં ખુશીનો માહોલ છે. આ નિમણૂકના અવસરે ગઢડા સામાકાઠા ગઢાળી રોડ પર આવેલા તાત્કાલિક હનુમાનજીના મંદિરે સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ફૂલોના હાર પહેરાવી અજયભાઈ ઝાલાનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કોળી સમાજના આગેવાનો, યુવાનો, નગરપાલિકા સદસ્યો તેમજ અન્ય તમામ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમના પરિવારજનો અને મિત્રવર્તુળ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર ભાડુઆત રાખવાના મામલે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સુભાષનગર હમીરજી પાર્ક ખાતે આવેલ ફાઇનલ પ્લોટ નંબર 29માં કરાયેલા ચેકિંગમાં 120 મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ભાડુઆતોને મકાન ખાલી કરવા નોટિસ આપ્યા બાદ 74 લાભાર્થીઓએ NOC આપી મકાન ખાલી કરાવ્યા છે. જ્યારે બાકીના 46 મકાનધારકો દ્વારા કોઈ બાહેનધરી ન આપતા મહાનગરપાલિકાએ તે મકાનો સીલ કરી દીધા છે. નિયમ ભંગ કરનારાઓ સામે હવે પેનલ્ટી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુંભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનાં મકાનોમાં જે મકાનનાં માલિકી ધરાવતા ન હોય અને તે મકાનોમાં ભાડુઆત તરીકે રહેતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના સુભાસનગર, પ્લોટ નંબર 29, હમીરજી પાર્ક આવેલ, તેમાં એક માસ પૂર્વે મહાનગર પાલિકાની કાર્યપાલક ઈજનેર સહિતની ટિમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન આવાસ યોજનામાં 320 મકાનોમાં, જેમાં 120 ભાડુઆત, પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં વસવાટ કરી રહ્યા હતા. આ આવાસમાં રહેતા ભાડુઆતોને 3 થી 7 દિવસમાં ખાલી કરવા અંગે નોટિસો પાઠવવામાં આવેલ. તેમ છતાં આજદિન સુધી ખાલી ન કરવામાં આવતા, 120 પૈકી 74 આવાસધારકો દ્વારા આવાસ ખાલી કરાવી NOC આપવામાં આવેલું અને અન્ય 46 આવાસ ધારકોએ ખાલી ન કરતા અને કોઈ બાંહેધરી ન આપતા સીલ મારવામાં આવ્યા છે. હવે ફરીવાર અમે કોઈ દિવસ ભાડે નહીં આપીએ એવું અમને એગ્રીમેન્ટ આપ્યુંઆ અંગે આવાસ યોજના ના કાર્યપાલક ઇજનેર એન.બી.વઢવાણિયા એ જણાવ્યું હતું કે સુભાષનગર હમીરજી પાર્ક ફાઇનલ પ્લોટ નંબર 29 માં થોડા દિવસ પહેલા 120 જેટલા મકાનોમાં ભાડુઆતો તરીકે રહેતા હતા. જ્યારે આ બાબતે સર્વે પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હાલમાં એમના દ્વારા 74 એવા લાભાર્થી હતા, જેઓએ અમને NOC આપેલું છે કે, મકાન ખાલી કરી દીધું છે. હવે ફરીવાર અમે કોઈ દિવસ ભાડે નહીં આપીએ એવું અમને એગ્રીમેન્ટ આપેલું છે. ત્યારબાદ આજરોજ અમે 46 મકાનોને સીલ મરવામાં આવ્યા છે. જે 46 મકાનોના લાભાર્થીઓ દ્વારા કોઈ બાહેનધરી નથી આપવામાં આવેલી, એટલા માટે આજરોજ એ મકાનોને સીલ મરવામાં આવ્યા છે અને આ સીલ અંગેની હવે એની ઉપરની બીજી કાર્યવાહી જે છે, એ અમે પેનલ્ટી સ્વરૂપે લઈ, ત્યારે એનું મકાનનું સીલ ખોલવામાં આવશે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં એક વિદ્યાર્થિની સાથે સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર દ્વારા બીભત્સ માંગણી કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડક પગલાં લેવા માગ કરવામાં આવી છે. AAPના નેતાઓએ GTUના વાઈસ ચાન્સેલરને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં AAPના મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, યુવરાજસિંહ જાડેજા, ડો. કરન બારોટ, જીતુ ઉપાધ્યાય, જતીન પટેલ, યાત્રિક પટેલ અને જીતેન્દ્ર કલાલ સામેલ હતા. સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થિની પાસે અશોભનીય માગણી કરીAAPના નેતા ડો. જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા આંતર યુનિવર્સિટી સ્પોર્ટ્સ સ્પર્ધા દરમિયાન GTUની ટીમ સોમનાથ યુનિવર્સિટી ગઈ હતી. તે દરમિયાન GTUના સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર આકાશ ગોહિલે એક વિદ્યાર્થિની પાસે અશોભનીય માગણી કરી હતી. આ બાબતથી દુ:ખી વિદ્યાર્થિનીએ પરત આવીને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને ફરિયાદ કરી હતી. દોષિત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેડો. જ્વેલ વસરાના જણાવ્યા મુજબ, વાઈસ ચાન્સેલર પોતે મહિલા હોવા છતાં આ મુદ્દે ગંભીર કાર્યવાહી કરવા બદલે મામલો દબાવવાની વાત કરી હતી. AAPનું કહેવું છે કે, શિક્ષણ સંસ્થાઓને વિદ્યામંદિર કહેવાય છે, પરંતુ જો આવી ઘટનાઓ થાય અને તેને દબાવવામાં આવે તો માતા-પિતા પોતાના બાળકોને કોના ભરોસે યુનિવર્સિટીમાં મોકલે? AAPએ સ્પષ્ટ માગ કરી છે કે આવી ઘટનાઓને છુપાવવી નહીં, પરંતુ ખુલ્લેઆમ સામે લાવીને દોષિત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ તેને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા: GTU રજિસ્ટ્રારદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની ફરિયાદ લઈને આવ્યા હતા. થોડા સમય પહેલા એક વિદ્યાર્થિનીએ આ મામલે પોતાની રજૂઆત કરી હતી. જેમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની ગેરવર્તણૂકની ફરિયાદ કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. અત્યારે અમારી કમિટી ફરિયાદના આધારે પુરાવા ભેગા કરી રહી છે. જે રિપોર્ટ આવ્યા બાદ પણ કેવા પ્રકારના પગલા લેવા તે કમિટી નક્કી કરશે.
બનાસકાંઠા LCBએ રૂ. 11.86 લાખનો દારૂ ઝડપ્યો:વડગામમાંથી ફોર્ચ્યુનર ગાડીમાંથી જથ્થો જપ્ત, ચાલક ફરાર
બનાસકાંઠા LCBએ વડગામ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ફોર્ચ્યુનર ગાડીમાંથી કુલ રૂ. 11,86,876/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસને ટક્કર મારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે LCB સ્ટાફ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, બાતમીના આધારે અંધારીયા બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. મોટાસડા તરફથી રોંગ સાઈડમાં અંધારીયા તરફ આવી રહેલી ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો પ્રયાસ કરાતા, તેના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી હતી. ત્યારબાદ તે અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1607 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 3,86,876/- આંકવામાં આવી છે. દારૂ અને ફોર્ચ્યુનર ગાડી સહિત કુલ રૂ. 11,86,876/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ ચાલી રહી છે.
અમદાવાદ પોલીસમાં ડ્યુટી ઉપર કેટલાક કર્મચારીઓની કામચોરીની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. જેને લઈને છેલ્લા કાટલાય સમયથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે નિવારણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા પ્રમાણ નામની એક એપ્લિકેશન ડેવલોપ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કોન્સ્ટેબલથી લઈ PI સુધીના અધિકારીઓએ નોકરીના સમય પર હાજર થયા ત્યારથી પંચ ઈન કરવાનું રહેશે અને નોકરી પૂર્ણ કરે ત્યારે પંચ આઉટ કરવાનું રહેશે. આ એપ્લિકેશનમાં પંચિગ કરતાની સાથે જ લાઈવ લોકેશન પણ દેખાશે જેથી પોલીસકર્મી પોતાની ડ્યુટી પર ક્યાં હાજર છે તે પણ મોનિટરિંગ થશે. પોલીસકર્મીઓની કામચોરી અટકાવવા APP તૈયાર કરાઈઅમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તત્કાલીન ડીસીપી અને મહીસાગર SP સફીન હસન દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન ટ્રાફિક પોલીસની કામચોરી રોકવા અને ફરજ પર નિયમિત પોલીસકર્મી હાજર રહે તે માટે ખાનગી સંસ્થા મળીને પ્રમાણ એપ્લિકેશન ડેવલોપ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં કોર્પોરેટ ઓફિસની જેમ જ પોલીસ કર્મચારીઓએ નોકરી પર હાજર થાય ત્યારે પંચ ઈન અને નોકરીથી નિકળતા પંચ આઉટ કરવાનું રહેશે. આ ઉપરાંત નોકરીના સમયનું લાઇવ લોકેશન પણ એપ્લિકેશનમાં દેખાશે. એપ્લિકેશનની વિશેષતાઓ એપ્લિકેશન 1 જાન્યુઆરીથી ઉપયોગમાં લેવાશે: જી.એસ મલિકપોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી રહી છે જેને લઈને તત્કાલીન ડીસીપી સફીન હસન દ્વારા એપ્લિકેશન પર કામ કરવામાં આવી રહ્યું હતું. જે હવે તૈયાર થઈ જતા 1 જાન્યુઆરીથી ઉપયોગમાં લેવામાં આવશે. એપ્લિકેશનમાં કોન્સ્ટેબલથી લઈને પી.આઈ સુધીના અધિકારીઓનું પંચ ઈન અને પંચ આઉટ થશે. ફરજના સ્થળ પર પોલીસ કર્મચારી હાજર છે કે કેમ તે પણ મોબાઈલથી મોનિટરિંગ થશે.
અમદાવાદમાં આવેલી પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજ ખાતે 29 ડિસેમ્બર, 2025ના રોજ 7 દિવસીય બ્યુટી વર્કશોપની સફળ શરૂઆત કરવામાં આવી હતી. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ બ્યુટી અને વેલનેસ ઉદ્યોગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ અને કુશળતા આધારિત તાલીમ આપવાનો હતો. વર્કશોપના પ્રથમ દિવસે વ્યક્તિગત સંભાળ અને વ્યાવસાયિક મેકઅપની મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્રોમાં ફેસ ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ તથા HD બ્રાઇડલ મેકઅપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિષ્ણાત માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવી હતી. આ સત્રો દ્વારા વિદ્યાર્થીઓને સ્કિનકેર, હેરકેર અને આધુનિક મેકઅપ ટ્રેન્ડ્સ અંગેની સમજ સાથે ઉદ્યોગ સ્તરની પ્રક્રિયાઓથી પરિચિત કરવામાં આવ્યા હતા. કોલેજની કુલ 66 વિદ્યાર્થીનીઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઇન્ટરએક્ટિવ સત્રો દરમિયાન વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાયા, પ્રશ્નો પૂછ્યા અને આજના સમયમાં માંગ ધરાવતા બ્યુટી કૌશલ્યો અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા તથા ઉદ્યોગસાહસિક દૃષ્ટિકોણ વિકસાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પહેલ પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજની સમગ્ર શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમથી આગળ વધીને અનુભવ આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્કશોપના આગામી દિવસોમાં અદ્યતન બ્યુટી ટેક્નિક્સ અને વ્યાવસાયિક પ્રક્રિયાઓ પર તાલીમ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સર્વાંગી કુશળતા વિકાસનો લાભ મળી રહે.
જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારતરત્નનું રાષ્ટ્રીય સન્માન આપવાની માંગ સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ માંગણીમાં જામનગર લોહાણા મહાજન સહિત અનેક સમાજો જોડાયા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, દેશની સ્વતંત્રતા પછી કેન્દ્ર સરકારે અનેક મહાનુભાવોને તેમની દેશસેવા બદલ મરણોત્તર રાષ્ટ્રીય સન્માન આપ્યા છે. નવાનગર (જામનગર) સ્ટેટના રાજવી અને પ્રિન્સલી સ્ટેટના વડા તરીકે જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આગેવાનોએ જણાવ્યું કે, જામસાહેબ દિગ્વિજયસિંહજીને ભારત રત્ન મળે તેની માગ કરાઈ છે. જામસાહેબ દિગ્વિજયસિંહજીના ત્રણ મુખ્ય કામો વિશે વાત કરીએ તો એક કામ હતું એકત્રીકરણનું. સૌરાષ્ટ્રમાં ઘણા રજવાડાઓ હતા, તે સમયે જો દિગ્વિજયસિંહજીએ સરદાર સાહેબને સપોર્ટ ન કર્યો હોત તો કચ્છ અને સૌરાષ્ટ્રનું એક અલગ રાજ્ય પણ બની શકે એમ હતું એટલે એકત્રીકરણમાં દિગ્વિજયસિંહજી સાહેબે સરદાર સાહેબને ઘણી મદદ કરી હતી. હિટલરે જ્યારે પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું ત્યારે ત્યાના યહુદીઓને તગડી મુક્યા હતા. તે સમયે દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના લોકોને આશરો આપ્યો હતો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો તે સમયે લગભગ 55 લાખ એટલે કે, આજના હિસાબે 550થી 800 કરોડ રૂપિયા જેવી રકમ જામનગરના રાજવીએ આપી હતી. જામસાહેબ દિગ્વિજયસિંહજીની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ છે. પોલેન્ડમાં તેમના નામે 'ગુડ મહારાજા' નામની સ્ટ્રીટ આવેલી છે. આ ઉપરાંત, ઇઝરાયેલમાં પણ બાળકોના વૃંદ વચ્ચે મહારાજા જામસાહેબનું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોલેન્ડની મુલાકાત દરમિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી. આ માંગણી સાથે જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, અગ્રણી જીતુભાઈ લાલ સહિત બ્રહ્મ સમાજ, ભોઈ સમાજ, રાજપૂત સમાજ અને અન્ય વિવિધ જ્ઞાતિના હોદ્દેદારો-અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રો. વિદ્યુત જોશી, કુલસચિવ ડૉ. હિમાંશુભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ આયેશાબેન પટેલ અને સુરેશભાઈ રામાનુજ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યની શૈક્ષણિક વ્યૂહરચનાને મજબૂત બનાવવાનો છેઆ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય NEP 2020, NEAC બાયનરી અને NCRFના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત વિદ્યાપીઠની શૈક્ષણિક દિશા અને ભવિષ્યની વ્યૂહરચનાને મજબૂત બનાવવાનો છે. શિબિર દરમિયાન વિદ્યાપીઠના શૈક્ષણિક સેવકો તથા શાખા અધ્યક્ષો દ્વારા દસ અલગ-અલગ સત્રોમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સત્રોમાં NEP 2020 અને ગાંધીયન દર્શનના પ્રકાશમાં વિદ્યાપીઠના વિઝન-મિશનનું પુનઃમૂલ્યાંકન, વિકસિત ભારત 2047 અને વૈશ્વિક નાગરિકતા, બહુવિષયક અભિગમ તથા અભ્યાસક્રમ સુધારા, ફેકલ્ટી વિકાસ અને શૈક્ષણિક નવીનતા, ગાંધીયન મૂલ્યો આધારિત સંશોધન સંસ્કૃતિ, આંતરવિષયક સંશોધન અને ટેક્નોલોજી સંકલન, સમુદાય સંલગ્નતા તથા ગ્રામ વિકાસ, સમાનતા-સમાવેશિતા, સંસ્થાગત શાસન તથા ઇ-ગવર્નન્સ અને આધારભૂત માળખા વિકાસ જેવા મહત્વના વિષયોનો સમાવેશ થશે. આગામી પાંચ વર્ષ માટેનું વ્યાપક આયોજન તૈયાર કરવાનું છેઆ સમગ્ર પ્રક્રિયાનું અંતિમ લક્ષ્ય વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આગામી પાંચ વર્ષ માટેનું વ્યાપક આયોજન તૈયાર કરવાનું તથા નવી પેઢીની જરૂરિયાતોને સમજીને વિદ્યાપીઠના ઇન્સ્ટીટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન (IDP)નું ઘડતર કરવાનું છે. આ ચિંતન શિબિર વિદ્યાપીઠના શૈક્ષણિક વિકાસને નવી દિશા આપવા માટે મહત્વનું પગલું સાબિત થશે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિરડી, પીપળ અને રણીયાળા ગામોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઈ-રીક્ષાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ઈ-રીક્ષાઓ ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવામાં મદદરૂપ થશે. કુલ ત્રણ ઈ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક રીક્ષાની કિંમત રૂ.3.75 લાખ છે. આ રીક્ષાઓ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, ગઢડા તાલુકા વિકાસ અધિકારી વાળા, રાજુભાઈ ચૌહાણ, વાલજીભાઈ જાદવ, જીતુભાઈ તુવર અને ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઈ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચોને સુપરત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામની સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઈ-રીક્ષાઓના પ્રારંભથી ગ્રામજનોને હવે નિયમિત રીતે કચરા સંકલનની સુવિધા મળશે, જેનાથી ગામો વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનશે. વિરડી ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ ચૌહાણે પોતે ઈ-રીક્ષા ચલાવીને પોતાના ગામમાં લાવતા ગ્રામજનોએ ફુલહાર પહેરાવી ઉલ્લાસભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
ઓક્ટોબર મહિનામાં અમદાવાદના DCB પોલીસ મથકે મુંબઈ ખાતે રહેતા બે આરોપી વૈભવ શિંદે અને ધનલ શિંદે સામે શાહીબાગમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ શાહીબાગમાં રહેતા દંપતીને કમાવવા માટે UK જવું હતું. જે સંદર્ભે આરોપી પતિ-પત્ની ફરિયાદીના સંપર્કમાં આવ્યા હતા. જેને UK જવા સંબંધિત ડોક્યુમેન્ટ વોટ્સેપથી મોકલવામાં આવ્યા હતા અને ટુકડે ટુકડે કુલ 48 લાખ રૂપિયા આરોપી પતિ-પત્નીએ ફરિયાદી પાસેથી લીધા હતા. આરોપીએ દંપતીને બનાવટી જોબ લેટર આપ્યાબાદમાં જ્યારે ફરિયાદી અને તેની પત્ની ફ્લાઈટ દ્વારા UK પહોંચ્યા ત્યારે આરોપીઓએ આપેલા જોબ લેટરમાં દર્શાવેલી કોઈ કંપની જ ત્યાં નહોતી. વળી ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે, આરોપીઓએ તેમને બનાવટી જોબ લેટર આપ્યા છે. આ અંગે આરોપીઓને જણાવતા તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીઓએ ફરિયાદીને છેતરતા અગાઉ જ્યારે પણ મુંબઈથી અમદાવાદ આવતા ત્યારે ફરિયાદીના ઘરે રોકાઈને તેમનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. UK પોલીસે તેમને ભારત ડિપોર્ટ કર્યાનિયત સમય મર્યાદામાં ફરિયાદી અને તેની પત્ની નોકરી ન મેળવી શકતા. UK પોલીસે તેમની ધરપકડ કરી હતી. સ્થાનિક વકીલ રાખીને તેઓએ જામીન મેળવ્યા હતા. પરંતુ UK પોલીસે તેમને ભારત ડિપોર્ટ કરી દીધા હતા. ઉપરોક્ત ફરિયાદ સંદર્ભે આરોપી પત્નીએ અમદાવાદની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેમાં હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી અને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે.
મોરબીના તખ્તસિંહજી રોડ પર ટ્રાફિક નિયમન માટે એક અનોખો પ્રયાસ જોવા મળ્યો. એક બહુરૂપીયાએ હાથમાં તીર-કામઠા સાથે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી. સોમવારે બપોરે તખ્તસિંહજી રોડ પર ભારે ટ્રાફિક જામ હતો. તે સમયે આદિવાસીના વેશમાં સજ્જ એક બહુરૂપીયાએ રસ્તા પર વાહનચાલકોને લાઈનમાં ઊભા રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુજરાતમાં ટ્રાફિક નિયમોના પાલન માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સામાન્ય છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. મોરબીમાં પણ ટ્રાફિકની સમસ્યા વ્યાપક છે. હવે જોવું રહ્યું કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દર વર્ષે લાખો-કરોડો રૂપિયાનો દંડ ભરતા મોરબીના વાહનચાલકો આ બહુરૂપીયાની અપીલને કેટલી ગંભીરતાથી લે છે અને નિયમોનું પાલન કરે છે.
ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોએ સંભાળ્યો ચાર્જ ગુજરાત પ્રદેશ ભાજપના નવા હોદ્દેદારોએ આજે પોતાનો ચાર્જ સંભાળ્યો . CM, DYCM અને પ્રદેશ પ્રમુખે નવા હોદ્દેદારો સાથે બેઠક કરી.આવનાર દિવસોમાં નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને ચર્ચા કરાશે.. FRCએ 5,780 સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી હવે રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે...FRCએ 5,780 સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી,, વાલીઓ સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.. અનેક સ્કૂલો એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વધારાની વસૂલાત કરતી હોવાની ફરિયાદો બાદ આ નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારની ગાઈડલાઈન વિદ્યાર્થીઓના આપઘાત રોકવા માટે સરકારે ગાઈડલાઈન બનાવી..રાજ્યની કોલેજ - યુનિવર્સિટીમાં ફરજિયાત મેન્ટલ હેલ્થ પોલિસી રખાશે .100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સિલર રાખવા આદેશ કરાયો છે. હક માટે આદિવાસી સમાજની 131 કિમીની પદયાત્રા જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાના આદિવાસી સમાજે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો..પાલનપુરથી ગાંધીનગર સુધી 131 કિમી સુધી પગપાળા આવી મુખ્યમંત્રીને રજૂઆત કરશે.. મકરસંક્રાંતિ ઓનલાઈન ગૌ-પૂજનની વ્યવસ્થા સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી કરાશે.. ભક્તો ઘરે બેઠા ગૌ-પૂજનનું પુણ્ય મેળવી શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે... 1.71 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું વડોદરામાં અલગ અલગ 17 પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલા દારુ પર રોલર ફેરવી દેવામાં આવ્યું.. દારૂ-બિયરની 50,000થી વધુ બોટલ-ટીનનો નાશ કરાતા દારુની રેલમછેલ થઈ.. જ્વેલર્સના નામે કેશિયરે કરી ઉચાપત જ્વેલર્સના નામે કેશિયરે 1.99 કરોડની છેતરપીંડી આચરી..કેશિયરે ગ્રાહકને ખોટી સ્કીમ બતાવી જ્વેલર્સના નામે ખોટા વાઉચર બનાવી છેતરપિંડી આચરી.. બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરની આગ ચોથા માળે પહોંચી સુરતના પાલનપુર વિસ્તારમાં નક્ષત્ર સોલેટર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરની આગ બેનરના કારણે ચોથા માળે પહોંચી. આગમાં દંપતી સહિત 7 જેટલા લોકો ફસાઈ ગયા હતા. જેમણે ફાયરના જવાનોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ધુમ્મસના કારણે 8 ફ્લાઈટ કેન્સલ,13 ડીલે ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત,દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 8 ફ્લાઈટ કેન્સલ અને 13 ફ્લાઈટ ડીલે કરાઈ છે. તો અનેક એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી.. નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું ઉત્તર તરફથી ફૂંકાતા પવનોને કારણે રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ.. 11.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું.. તો અમદાવાદનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની મહિલા ખેડૂતોએ મુંદ્રા-કચ્છ ખાતે આવેલા ખારેક સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખારેકની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી અને માર્ગદર્શન મેળવવાનો હતો. આત્મા પ્રોજેક્ટ, અમરેલી દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પાયાની જાણકારી પૂરી પાડવાનો હતો. આ મુલાકાત રાજ્ય અંદર તાલીમ કાર્યક્રમનો એક ભાગ હતો. મુલાકાત દરમિયાન, લાઠી તાલુકાની મહિલા ખેડૂતોએ ખારેકની ખેત પદ્ધતિઓ, પાકની સામાન્ય અને મહત્વપૂર્ણ જરૂરિયાતો સહિતની બાબતો અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. ભારતનું પ્રથમ અને એકમાત્ર ખારેક સંશોધન કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં આવેલું છે. આ કેન્દ્રની સ્થાપના સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 1978માં કરવામાં આવી હતી. આ કેન્દ્ર કચ્છની ખારી જમીનમાં ઉત્તમ ગુણવત્તાની ખારેક (ખજૂર) ઉગાડવા, તેના પર સંશોધન કરવા અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે કાર્યરત છે.
મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે બે અલગ-અલગ ગુનામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનું આંગડિયું કરનાર અને મેળવનાર કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી વિરલભાઈ દલવાડીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. સાયબર ફ્રોડ દ્વારા 38 લાખ આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવ્યાપ્રથમ ગુનો ગત તા. 15 ડિસેમ્બરે જયદીપપુરી કિશોરપૂરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુઝા, ભરતભાઈ પરમાર અને અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા વિરુદ્ધ નોંધાયો હતો. આ ગુનામાં જયદીપપુરી, આર્યમન અને ભરતભાઈના બેંક ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા કુલ રૂ. 38,42,650 જમા થયા હતા, જે આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ જયદીપપુરી ગોસ્વામી અને આર્યમન રુઝાની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં અમદાવાદના ભાર્ગવ દિનેશભાઈ પૂજારા (ઉં.વ. 38) ની ધરપકડ કરાઈ છે. ભાર્ગવ પૂજારાએ મોરબીથી આંગડિયા દ્વારા મોકલેલી ફ્રોડની રકમ મેળવી હતી. બીજા ગુનામાં 2 લાખ આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવ્યાબીજો ગુનો વસંત જયરાજભાઈ વાઘેલા, લાલજીભાઈ શામજીભાઈ દેગામા, રવિભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઉપસરીયા વિરુદ્ધ નોંધાયો હતો. આ ગુનામાં વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂ. 2,01,120 જમા થયા હતા. આ રકમ ઉપાડીને મોરબીના રવિ નારણભાઈ દેવસુર અને ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદીએ આંગડિયું કર્યું હતું. હાલમાં રવિ નારણભાઈ દેવસુરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીઓએ કોને પૈસા મોકલ્યા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. દેશભરમાં મ્યુલ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના કિસ્સાઓ વધતા સાયબર ક્રાઈમ પોલીસ સક્રિય બની છે.
વિજાપુર તાલુકાના એક ગામે બનેલી એક દુષ્કર્મની ગંભીર ઘટનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધનાર આરોપી રાહુલજી વિક્રમજી ઠાકોરને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાનું અવારનવાર શારીરિક શોષણ કર્યુંભોગબનારની માતાએ ફરિયાદ નોંધવી જણાવ્યું કે, આરોપી રાહુલજીએ તેમની દીકરીને લગ્નની લાલચ આપી હતી. 27 એપ્રિલ 2025ના રોજ આરોપી સગીરાને લલચાવી ફોસલાવીને બાઈક પર બેસાડી વિજાપુર અને મહુડી તરફ લઈ ગયો હતો. ત્યાંથી તે રાધુપુરા શાળાના ધાબા પર લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આરોપીએ ઈડર અને કાંઠાગામે પણ સગીરાને લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. સગીરાની જુબાની અને પંચનામાના આધારે ગુનો સાબિત થયોઆ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ આ કેસમાં મહત્વની દલીલો રજૂ કરી હતી. કોર્ટ સમક્ષ 12 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને એફ.એસ.એલ રિપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજ જેવા ટેકનિકલ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ભોગ બનનાર સગીરાની જુબાની અને પંચનામાના આધારે ગુનો સાબિત થયો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારીઅદાલતે તમામ પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રાહુલજી ઠાકોરને તકસીરવાન ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ 44 હજાર નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર યુવતીને વળતર પેટે રૂ.3 લાખ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.
અમરેલી જિલ્લાના બક્ષીપુર ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને આવેદનપત્ર સુપરત કર્યું છે. AAP નેતા જે.ડી. કથીરિયાની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ગામમાં ગટર, રોડ-રસ્તા અને સ્ટ્રીટલાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું જણાવાયું છે. AAP કાર્યકરોએ સ્થળ તપાસ કર્યા બાદ આક્ષેપ કર્યો હતો કે, ગામમાં થયેલા ગટર અને અન્ય વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ગ્રામજનો લાંબા સમયથી આ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જે.ડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, બક્ષીપુર ગામમાં આ સમસ્યાઓ ઘણા સમયથી પ્રવર્તી રહી છે. આ અંગે ગ્રામજનો દ્વારા અગાઉ મામલતદાર, TDO, DDO, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. આ રજૂઆત સમયે તાલુકા પંચાયત વિપક્ષ નેતા અને AAP નેતા જે.ડી. કથીરિયા (ચાપાથળ), હરેશભાઈ માધડ, સ્થાનિક આગેવાનો કિરણ ગોહિલ, બિમલ લાઠીયા, ધ્રુવેશ ગોંડલીયા, મિલન સોરઠીયા અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા. કથીરિયાએ વધુમાં જણાવ્યું કે, જો આગામી 15 દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો તેઓ ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે.
INSV કૌંડિન્યા પોરબંદરથી મસ્કત માટે રવાના:ભારતીય નૌકાદળનું પરંપરાગત જહાજ ઐતિહાસિક સફરે
ભારતીય નૌકાદળનું સ્વદેશી નિર્મિત પરંપરાગત સઢવાળું જહાજ INSV કૌંડિન્યા 29 ડિસેમ્બર, 2025ના રોજ પોરબંદર, ગુજરાતથી ઓમાનના મસ્કત શહેર માટે તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું છે. આ ઐતિહાસિક અભિયાનનો મુખ્ય હેતુ ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનો, સમજવાનો અને ઉજવવાનો છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને જહાજને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભારતમાં ઓમાનના રાજદૂત મહામહિમ ઇસા સાલેહ અલ શિબાની, ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. INSV કૌંડિન્યાનું નિર્માણ પરંપરાગત ટાંકાવાળી જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો સમાવેશ થાય છે. ઐતિહાસિક સ્ત્રોતો અને પુરાવાઓથી પ્રેરિત આ જહાજ ભારતના સ્વદેશી જહાજ નિર્માણ, નાવિકતા અને સમુદ્રી નેવિગેશનના સમૃદ્ધ વારસાનું પ્રતીક છે. આ સફર પ્રાચીન દરિયાઈ માર્ગોને ફરીથી જીવંત કરશે, જે ભૂતકાળમાં ભારતના પશ્ચિમ કિનારા અને ઓમાનને જોડતા હતા. આ માર્ગો દ્વારા હિંદ મહાસાગરમાં વેપાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સભ્યતાગત સંબંધો વિકસ્યા હતા. આ અભિયાન ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે. મસ્કતમાં INSV કૌંડિન્યાનું આગમન બંને દેશો વચ્ચે સદીઓથી રહેલા મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર આદરના સંબંધોનું પ્રતીક બનશે. આ સફર ગુજરાત અને ઓમાન વચ્ચેના ઊંડા ઐતિહાસિક જોડાણોને પણ ઉજાગર કરે છે. આ અભિયાન દ્વારા ભારતીય નૌકાદળ દરિયાઈ રાજદ્વારી, વારસા સંરક્ષણ અને પ્રાદેશિક સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. INSV કૌંડિન્યાની આ યાત્રા ભારતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક જવાબદાર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દરિયાઈ રાષ્ટ્ર તરીકે રજૂ કરે છે. આ જહાજનું નેતૃત્વ કમાન્ડર વિકાસ શિયોરન કરી રહ્યા છે. પ્રોજેક્ટની શરૂઆતથી સંકળાયેલા કમાન્ડર વાય. હેમંત કુમાર આ અભિયાનના ઓફિસર-ઇન-ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે. ક્રૂમાં ચાર અધિકારીઓ અને તેર નૌકાદળના ખલાસીઓનો સમાવેશ થાય છે.
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં 13 વર્ષીય સગીરાની હત્યાના કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે, મૃતકના પરિવારજનોએ જમીન વિવાદનો ઇનકાર કરીને દીકરી સાથે 'ખોટું થયું' હોવાનો આક્ષેપ કર્યો છે. આનાથી પોલીસની જમીન વિવાદને કારણે હત્યા થઈ હોવાની થિયરી પર સવાલો ઊભા થયા છે. કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરોપી પ્રકાશ હટુભાઈ રાઠવાની ધરપકડ કરી હતી. કદવાલ પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે જમીન વિવાદને કારણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આજે કદવાલ પોલીસે આરોપી પ્રકાશ હટુભાઈ રાઠવાને હત્યાના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે ઝાડ પર લટકી રહેલો મોબાઈલ પણ રિકવર કર્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી કયા રસ્તે ઘરે ગયો હતો, તે રસ્તા પર પણ પોલીસ આરોપીને સાથે રાખીને તપાસ કરી હતી. આ મામલે મૃતકની માતાએ જણાવ્યું હતું કે, સગીરા સાથે 'ખોટું થયું' હોવાને કારણે તેની હત્યા કરવામાં આવી છે. ગામની એક સામાજિક કાર્યકરે પણ આ જ વાતનું સમર્થન કર્યું હતું. તેમણે પોલીસ દ્વારા જમીન વિવાદને કારણે હત્યા થઈ હોવાની વાતને રદિયો આપ્યો હતો, જેના કારણે પોલીસની જમીન વિવાદની થિયરી પર વધુ સવાલો ઉઠી રહ્યા છે.
મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં રહેતા રહીશોની સુખાકારી માટે ગટર લાઇન અને રોડના કામને લઈને સ્થાનિક રહીશો અને રાધનપુર રોડ પ્રમુખ-મંત્રી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાધનપુર રોડ પર ગંદા પાણીના નિકાલ માટેની પાઈપલાઈનનું કામ હજુ બાકીપત્રમાં જણાવ્યા અનુસાર મહેસાણાના રાધનપુર રોડ પર કમળપથથી લઈને પાંચોટ બાયપાસ ડી-માર્ટ સુધીનો વિસ્તાર હવે મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની પાઈપલાઈનનું કામ હજુ બાકી હોવાથી ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને કારણે સ્થાનિક રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 'આઇકોનિક રોડ' બનાવવાની કામગીરી શરૂવધુમાં રજૂઆત કરવામાં આવી છે કે, તંત્ર દ્વારા હાલ આ વિસ્તારમાં 'આઇકોનિક રોડ' બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ, જો ગટરલાઈન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર જ રોડ બનાવી દેવામાં આવશે તો ભવિષ્યમાં ગટર માટે રોડ ફરીથી ખોદવો પડશે અને પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે. સ્થાનિક રહીશોએ મક્કમતાપૂર્વક માંગ કરી છે કે, જ્યાં સુધી કમળપથથી ડી-માર્ટ સર્કલ સુધી ગંદા પાણીની ગટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આઇકોનિક રોડનું કામ શરૂ ન કરવું. જો આ વ્યવસ્થા કર્યા વગર કામ આગળ વધારવામાં આવશે તો તમામ રહીશો ભેગા મળી કામ અટકાવશે એવી ચીમકી પણ પત્ર દ્વારા આપવામાં આવી છે
પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આગામી 6 જાન્યુઆરી, 2026ના રોજ મળશે. પ્રમુખ દ્વારા બેઠક ન બોલાવાતા, ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ સભાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં આવો કિસ્સો પ્રથમવાર બન્યો છે. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 51(2) હેઠળ, નગરપાલિકાના 16 સભ્યોએ ગત 11 ડિસેમ્બર, 2025ના રોજ બે મહત્વના કામો માટે ખાસ સામાન્ય સભા બોલાવવા પ્રમુખને લેખિત વિનંતી કરી હતી. નિયમ મુજબ, પ્રમુખે 15 દિવસમાં બેઠક બોલાવવી ફરજિયાત હતી. જોકે, પ્રમુખ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં બેઠક ન બોલાવાતા, 16 પૈકીના 14 સભ્યોએ ઉપપ્રમુખને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે, ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરીને 6 જાન્યુઆરી, 2026ના રોજ નગરપાલિકાના સભાખંડમાં આ ખાસ સામાન્ય સભાનું આયોજન કર્યું છે. આ સભામાં મુખ્યત્વે બે એજન્ડા પર નિર્ણય લેવામાં આવશે. પ્રથમ એજન્ડા પ્રાદેશિક કમિશનર કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરના પત્રો અને પાટણ શહેરના વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયા અંગે 20 નવેમ્બર, 2025ના કારોબારી સમિતિના ઠરાવ નંબર 123/2025-26 બાબતે નિર્ણય લેવાનો છે. બીજા એજન્ડામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મીટિંગના આદેશ મુજબ, શહેરના ડિવાઈડર, ગ્રીલ અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા અંગે કારોબારી સમિતિએ કરેલા ઠરાવ નંબર 133/2025-26 પર તાત્કાલિક નિર્ણય કરવામાં આવશે. ઉપપ્રમુખ દ્વારા તમામ સભાસદોને સમયસર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં નાતાલ પૂર્વે ધર્માંતરણનો મુદ્દો ગરમાયો છે. તાજેતરમાં દેડિયાપાડા ખાતે હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા એક વિશેષ 'ઘર વાપસી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150 થી વધુ આદિવાસી લોકો, જેઓ અગાઉ ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયા હતા, તેમણે વિધિવત રીતે ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવવાનો આક્ષેપહિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગરીબ આદિવાસી પરિવારોને વિવિધ પ્રલોભનો આપી, પટાવી-ફોસલાવીને ખ્રિસ્તી ધર્મમાં જોડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય ધર્મ જાગરણ મંચના મંત્રી સોનજીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવામાં આવે છે. ઘણા આદિવાસીઓએ પોતે છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આથી, તેમના સગા-સંબંધીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા તેમની ઘર વાપસી કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ અને સાધુ-સંતોએ નિર્ધાર કર્યો છે કે આદિવાસી સમાજની મૌલિક સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવા માટે આવા 'ઘર વાપસી' કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. નાતાલ પૂર્વે વિવાદ વકર્યોઉલ્લેખનીય છે કે, નાતાલના પર્વ નિમિત્તે મોટા કાર્યક્રમો યોજવા સામે રાષ્ટ્રીય હિન્દુ જાગરણ મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો હતો. બીજી તરફ ખ્રિસ્તી સમાજ દ્વારા પણ કાર્યક્રમો માટે મંજૂરી માંગવામાં આવતા જિલ્લામાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી હતી. આ દરમિયાન હિન્દુ સંગઠનોએ આક્રમક વલણ અપનાવી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા જાળવવાના હેતુથી આ અભિયાન તેજ કર્યું છે. ભાજપના જ કેટલાક આગેવાનો સામે સાંસદ મનસુખ વસાવાનો રોષભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે હિન્દુત્વ માટે ગ્રાઉન્ડ લેવલ પર લડીએ છીએ, જેમાં અમારા અનેક કાર્યકરોએ સંઘર્ષ વેઠ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં ભાજપના જ કેટલાક આગેવાનો 'દૂધમાં અને દહીંમાં' પગ રાખી ધર્માંતરણના કાર્યક્રમોમાં હાજરી આપે છે, જે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકોની ઘર વાપસી થઈ છે તે ખૂબ જ આવકારદાયક બાબત છે.
નશાના કાળા કારોબાર વિરુદ્ધ જૂનાગઢ પોલીસે મોટી સફળતા મેળવી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને એસઓજીની ટીમે રાજસ્થાનના પ્રતાપગઢ ખાતેથી વેશપલ્ટો કરી દબોચી લીધો છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેફેડ્રોન ડ્રગ્સ 233.78 ગ્રામ કિ.રૂ.23,3,7800 લાખના મુદામાલના ચાર્ટર કેસના નાસતા ફરતો આરોપી તારાચંદ મીણા ઉંમર 41 વર્ષ, રહે. અખેપુર, રાજસ્થાન એનડીપીએસ એક્ટ હેઠળના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. જૂનાગઢ પોલીસે આરોપીની અટકાયત કરી તેને એસઓજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ પોલીસે અગાઉ નશાના કારોબાર પર તરાપ મારીને લાખોની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં તપાસ દરમિયાન અનેક આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાંથી કેટલાકની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી. જોકે, આ કેસમાં સંડોવાયેલો રાજસ્થાનનો એક આરોપી સતત પોલીસને થાપ આપી રહ્યો હતો અને નાસતો ફરતો હતો. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી.આ દરમિયાન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી તારાચંદ કનૈયાલાલ મીણા રાજસ્થાનના પ્રતાપગઢમાં છુપાયો છે. બાતમી મળતા જ એસઓજીની ટીમે વેશપલ્ટો કરીને ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું અને આરોપીને તેના વતનમાંથી ઝડપી લીધો હતો.આ સફળ કામગીરીમાં એસઓજીના વી.એમ. પરમાર, મેણસીભાઈ અખેડ, રોહિતભાઈ ધાધલ અને વિશાલભાઈ ઓડેદરા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન (BMA) દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ સિનેર્જી 2026 નામના સ્ટાર્ટ-અપ કોન્ફ્લેવનું આયોજન આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ હોટેલ સુર્યા પેલેસ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ માટે 250થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યુવા ઉદ્યોગસાહસિકોને સશક્ત મંચ પૂરો પાડશેઆ કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપી ઉદયમાન સ્ટાર્ટ-અપ્સ તથા યુવા ઉદ્યોગસાહસિકોને સશક્ત મંચ પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને નિષ્ણાતો પોતાના અનુભવો શેર કરશે. આ કાર્યક્રમના માધ્યમથી રોકાણની તકો, નેટવર્કિંગ, સરકારી નીતિઓ, વૈશ્વિક અવસરો અને ઇનોવેશન અંગે મહત્વની ચર્ચાઓ યોજાશે. DYCM અને સી આર પાટીલ ઉપસ્થિત રહેશેકાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ, ભારતના ભૂતપૂર્વ રાજદૂત એમ. પી. સિંહ તથા HDFC બેંકના ચેરમેન (નિવૃત્ત IAS) અતનુ ચક્રવર્તી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત વક્તાઓ પણ હાજર રહેશે. સ્ટાર્ટ-અપ્સ તથા MSMEને મજબૂત બનાવવાનો પ્રયાસમુખ્ય આયોજકો અને BMA ના પ્રમુખ ડૉ. મુકુન્દ પુરોહિત અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ દીપક સુરાના એ જણાવ્યું કે આ કોન્ફ્લેવ યુવા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન, નેટવર્કિંગ અને નવા રોજગારના અવસરો પૂરા પાડી સ્ટાર્ટ-અપ્સ તથા MSMEને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. એગ્રીકલ્ચર, ફાર્મા અને ટેક્નોલોજી સેક્ટરમાં વધુ રજિસ્ટ્રેશનઆ કાર્યક્રમ ગુજરાત તથા વડોદરાની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક તકો સર્જવા માટે મહત્વનું પગલું બનશે. આ કાર્યક્રમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, ફાર્મા અને ટેક્નોલોજીના આ સેક્ટરમાં વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવી શકાય તે હેતુથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલી તમામ આંતરરાજ્ય બોર્ડરો પર સઘન વાહન ચેકિંગ શરૂ કરાયું છે. દાહોદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિને કારણે અહીંથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફ જતાં અનેક માર્ગો પસાર થાય છે. તહેવારના માહોલમાં શરાબ માફિયા દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસોની શક્યતા રહેતી હોવાથી પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. ખંગેલા-મધ્ય પ્રદેશ બોર્ડર, કતવારા-મધ્ય પ્રદેશ બોર્ડર તેમજ ધાવડિયા-રાજસ્થાન બોર્ડર સહિતની મહત્વપૂર્ણ ચેકપોસ્ટો પર વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આંતરરાજ્ય ચેકપોસ્ટો આવેલી છે, તે તમામ પોલીસ સ્ટેશન હેઠળની ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર એસ.આર.પી.ની ટુકડીઓની પણ ફાળવણી કરવામાં આવી છે. ડીવાયએસપી ભંડારીએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટાભાગની ચેકપોસ્ટો પર પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે, જ્યારે અન્ય મહત્વની ચેકપોસ્ટો પર સિનિયર પોલીસ અધિકારીઓ તૈનાત છે. તમામ બોર્ડરો પર રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રોહિબિશનને લગતી તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચેકિંગ કામગીરી દરમિયાન એસ.ઓ.જી., એલ.સી.બી., સ્થાનિક પોલીસ તેમજ એસ.આર.પી.ની ટુકડીઓ સંયુક્ત રીતે કાર્યરત છે. આવન-જાવન કરતા વાહનોના દસ્તાવેજો, સામાન તેમજ શંકાસ્પદ હિલચાલની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, 31 ડિસેમ્બરની રાત દરમિયાન દારૂ પીને વાહન ચલાવનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમો પણ તૈનાત કરાઈ છે. બોર્ડર વિસ્તારો, મુખ્ય માર્ગો અને હાઈવે પર સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાતમાં દારૂની હેરાફેરી કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. દાહોદ જિલ્લા પોલીસ નવા વર્ષને શાંતિપૂર્ણ, સલામત અને કાયદેસર રીતે ઉજવાય તે માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ હોવાનું ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રવિવારે રાત્રિના ફરજ પર હાજર રેસિડેન્ટ ડોકટર પર દર્દીની સાથે આવેલા એક શખસે હુમલો કરતા ચકચાર મચી છે. બ્લડબેંકમાંથી લોહી લેવા માટેના ફોર્મને લઈ ડોકટર અને દર્દીના સંબંધી વચ્ચે બોલાચાલી થયા બાદ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. લુખ્ખાતત્વ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રેસિડેન્ટ ડોકટરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ હુમલાની આ ઘટનાના સિવિલ હોસ્પિટલમાં ઘેરા પડઘા પડ્યા છે. આજે બપોર બાદ તમામ તબીબોએ એકત્ર થઈ હુમલાની ઘટનાને વખોડી કાઢી છે અને હુમલાખોરને વહેલીતકે ઝડપી કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. હોસ્પિટલ સંકુલમાં એકઠા થયેલા તબીબોએ ગુંદાગિર્દી બંધ કરોના નારા લગાવ્યા હતા. ના પાડતા ઉશ્કેરાઈને ગળું દબાવી પછાડી માર માર્યો હતોરાજકોટના જયદીપ ચાવડાને ત્યાં કામ કરતા બિનય થાપાને ગત ગુરુવારે અકસ્માતને કારણે માથામાં હેમરેજ થયું હતું અને તેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને બે વખત બ્લડ ચડાવ્યા બાદ ત્રીજી વખત બ્લડ ચડાવવા માટે દર્દીના સગા પાસેથી બ્લડ ડોનેટ કરેલું લેવાનું હતું. જે પહેલા સિવિલ હોસ્પિટલની પોલિસી મુજબ સિવિલના માસી એટલે કે પટાવાળાને ઇસ્યૂ ચીટ આપવાની હોય છે. જોકે દર્દીની સાથેના જયદીપ ચાવડાને ઇસ્યૂ ચીટ પોતાને જોઈતી હતી. જે ના પાડતા ઉશ્કેરાઈ ગયા હતા અને સિવિલના ન્યૂરો સર્જન વોર્ડમાં જઈ જયદીપ ચાવડાએ ગળું દબાવી પછાડી માર માર્યો હતો. '48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું'તબીબો રોષે ભરાઈને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ ખાતે એકત્ર થયા. હર્ષ સંઘવી જેમ રીલ બનાવતા લોકોને કાયદાનું ભાન કરાવે છે તે રીતે જયદીપ ચાવડા નામના ગુંડાની સરભરા કરવામાં આવે. 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલના ડીન અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરવામાં આવશે. 'ગુંડા સામે કાયદેસરની કાર્યવાહી થાય'ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનના પ્રમુખ ડૉ. કમલસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, અમે તબીબો વર્ષે 13,00,000 દર્દીઓની સેવા કરીએ છીએ ત્યારે અમારા જ એક ડોક્ટરને કુરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે જેથી આ ગુંડા સામે કાયદેસરની કાર્યવાહી થાય અને અમને ન્યાય આપવામાં આવે તેવી માંગણી છે. 'તબીબો પર માર મારવાની ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરો'જનરલ સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર હેત રાદડીયાએ જણાવ્યું હતું કે, અમારા ન્યુરોસર્જરી વિભાગના એક ડોક્ટર ઉપર બેરહેમીથી હુમલો થયો છે. વારંવાર દર્દીઓના સગાઓ દ્વારા આ પ્રકારના હુમલાઓ થાય છે પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ જે સિક્યુરિટી છે તે પણ અપૂરતી છે જેથી તબીબો પર માર મારવાની ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે રીતે ગુનેગારોને સજા થાય છે તે રીતે સજા કરવામાં આવે તેવી માંગણી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી 60મી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો માટે અંદાજે 146 કરોડથી વધુની દરખાસ્તો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. 28 જેટલી વિવિધ દરખાસ્તો ધરાવતા આ એજન્ડામાં ગટર, પાણી, રસ્તા અને બ્યુટીફિકેશનના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે તંત્ર દ્વારા જે રીતે આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે જોતા નગરજનોના ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. ખાસ કરીને વિવિધ પ્રોજેક્ટ્સ માટે કન્સલ્ટન્ટ્સ અને ડિઝાઇનર્સ પાછળ લાખો રૂપિયાના ખર્ચનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. મનપા દ્વારા ટેક્સના પૈસાનો ધુમાડો ગાંધીનગર મહા નગરપાલીકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં નગરજનોના ટેક્સના પૈસાનો ધુમાડો કરી સુવિધાના નામે સ્ટેન્ડિંગ કમિટીની ટેન્ડરો અને કન્સલ્ટન્ટ્સ પર ધનવર્ષા કરવામાં આવી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં સેક્ટર-1 સૂર્ય જ્યોત લેક રીજુવેનેશન અને રાંધેજા-કોલવડામાં ચોક ડેવલપમેન્ટ જેવા કામોમાં પ્રોજેક્ટ કોસ્ટના 2.5% જેટલી મોટી રકમ માત્ર ફી તરીકે ચૂકવવાની ભલામણ સ્વીકારવામાં આવી છે. બાયપાસ રોડને 21 કરોડના ખર્ચે વિકસાવવાની મંજૂરીઉપરાંત શહેરની પ્રાથમિક સુવિધાઓ કરતા શો-બાજી અને બ્યુટીફિકેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોય એમ રક્ષાશક્તિ ઓવરબ્રીજ ચોકથી ધોળેશ્વર મહાદેવ બ્રીજ સુધીના બાયપાસ રોડને 21 કરોડના ખર્ચે વિકસાવવાની મંજૂરી અપાઈ છે. તે જ રીતે રાયસણ વિલેજ પ્લાઝાના વિકાસ માટે અંદાજિત કિંમત કરતા પણ વધુ એટલે કે રૂ. 7.02 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. પેથાપુરમાં 14 કરોડથી વધુના ખર્ચે યોગા સેન્ટરબીજી તરફ તંત્રના નબળા પ્લાનિંગના પુરાવા રૂપે ટી.પી.-29માં પમ્પિંગ સ્ટેશનનું કામ રદ કરી તે રકમ અન્યત્ર વાપરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે પેથાપુરમાં અંદાજે 14 કરોડથી વધુના ખર્ચે યોગા સેન્ટર અને 11.89 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલના ટેન્ડર પણ મંજૂર કરાયા છે. ખાનગી કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના 4% રકમ ચૂકવવાની તૈયારી ત્યારે મહા નગર પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી આર્થિક લહાણી અહીં જ અટકી નથી. વિવાદિત ઘ-4 અન્ડરપાસમાં વારંવાર પડતા ગાબડાની સમસ્યાના કાયમી ઉકેલને બદલે માત્ર હવે તપાસ માટે ખાનગી કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના 4% રકમ ચૂકવવાની તૈયારી છે. મનપાને લોકોની સમસ્યા કરતા ટેન્ડર પ્રક્રિયાઓમાં વધુ રસઆ ઉપરાંત હેવી મશીનરી ભાડે લેવા પાછળ પણ અગાઉ થયેલા 6.30 કરોડના ખર્ચ સામે વધુ 6.50 કરોડની મર્યાદા વધારવાની દરખાસ્ત મુકાઈ છે. એજ રીતે રસ્તાના રિપેરીંગ અને બ્રિજ પર પેઈન્ટિંગ જેવા કામો માટે 24 મહિના જેવી લાંબી સમય મર્યાદા વધારીને રૂ. 2.96 કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે જે સૂચવે છે કે મનપા તંત્રને લોકોની સમસ્યા કરતા ટેન્ડર પ્રક્રિયાઓમાં વધુ રસ છે. વિકાસના નામે નગરજનોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છેસમગ્ર એજન્ડામાં ક્યાંય પણ સ્થાનિક લોકોની સલાહ કે જનભાગીદારીને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. આમ વિકાસના નામે નગરજનોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિક સમસ્યાઓ અને લોકોની જરૂરિયાત સામે ગાંધીનગર મહાનગરપાલિકાનું વલણ તદ્દન ઉદાસીન જણાતું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે કમિશનર તરફથી આવેલી તમામ ભલામણો મંજૂર કરી દેવાઈ હોવાનું જણાવ્યું છે.
ધરમપુર કોર્ટે મહાદેવ ટ્રેડિંગ કંપનીના બે ભાગીદારને ભેળસેળ કેસમાં સજા ફટકારી છે. કોર્ટે બંને ભાગીદારને કુલ 6 લાખ રૂપિયાનો દંડ અને પ્રત્યેકને 3-3 માસની કેદની સજા સંભળાવી છે. આ કેસ ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા નજીક આવેલી કંપનીની હોલસેલ દુકાનમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવા સંબંધિત હતો. વર્ષ 2018માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસના આધારે આ કેસ ચાલી રહ્યો હતો. ધરમપુરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. કેસની વિગત મુજબ, 20 સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) વલસાડ વર્તુળના ફૂડ સેફટી ઓફિસર સી. એન. પરમારની ટીમે મહાદેવ ટ્રેડિંગ કંપનીમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન, માનવ વપરાશ માટે વેચાણમાં રાખેલા લૂઝ લાલ મરચાં પાઉડરના નમૂના લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીના અહેવાલ મુજબ, આ નમૂનાઓ અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. નમૂનામાં નોન-પરમિટેડ સિન્થેટિક ઓઇલ સોલ્યુબલ કલર તેમજ ઘઉં અને ચોખાના સ્ટાર્ચ જેવી બાહ્ય ખાદ્ય સામગ્રી મળી આવી હતી. આ સામગ્રીઓ કાયદા મુજબ પ્રતિબંધિત અને જાહેર આરોગ્ય માટે હાનિકારક ગણાય છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની કલમ 26, 27, 48, 51 અને 59(1) હેઠળ ગુનો સાબિત થતાં આ ફોજદારી કેસ ધરમપુર કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે ધુખારામ પુનમારામ ચૌધરી (વિક્રેતા/ભાગીદાર) અને પિરારામ હરદાનારામ ચૌધરી (ભાગીદાર) બંનેને 3-3 લાખ રૂપિયાનો દંડ અને 3-3 માસની કેદની સજા સંભળાવી છે. વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરે જણાવ્યું કે, આ ચુકાદો ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે કાયદાની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપે છે. તેમણે ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ખાદ્ય ગુણવત્તા અને સુરક્ષા અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની ચેતવણી આપી છે. જાહેર આરોગ્યની સુરક્ષા માટે ફૂડ સેફટી વિભાગ કડક અમલવારી ચાલુ રાખશે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વનાળી ગામના ધાર્મિક સોલંકીની ગુજરાત અંડર-14 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ પસંદગીથી પરિવારજનો અને ગામલોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. રાજ્ય સ્તરે યોજાયેલી અંડર-14 ક્રિકેટ પસંદગી પ્રક્રિયામાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી કુલ 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ધાર્મિક સોલંકીની પસંદગી થઈ છે, જે જિલ્લા માટે ગર્વની વાત છે. ધાર્મિક સોલંકી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા વિપુલભાઈ સોલંકી અને માતા હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં, ધાર્મિકને ક્રિકેટ પ્રત્યે નાનપણથી જ વિશેષ રસ હતો. પિતા વિપુલભાઈએ કરકસર કરીને ધાર્મિકને વધુ અભ્યાસ અને ક્રિકેટ તાલીમ માટે બોટાદ મોકલ્યો. બોટાદમાં તે ધોરણ 8માં અભ્યાસ કરે છે અને સમર ક્રિકેટ એકેડેમીમાં દરરોજ 10 થી 12 કલાક પ્રેક્ટિસ કરે છે. બોટાદની સમર ક્રિકેટ એકેડેમીમાં કોચ કિરણ સોલંકીના માર્ગદર્શન હેઠળ ધાર્મિકે નિયમિત તાલીમ મેળવી. તેની મહેનતનું ફળ ગુજરાત અંડર-14 ટીમમાં પસંદગી રૂપે મળ્યું છે. ધાર્મિકનું સ્વપ્ન ભવિષ્યમાં ભારતીય ટીમ માટે રમવાનું છે.
સોળસુમ્બા ઓવરબ્રિજ સર્વિસ રોડની નબળી કામગીરી:વાહનચાલકોને અકસ્માતનો ભય, મુશ્કેલીમાં વધારો
ઉમરગામ તાલુકાના સોળસુમ્બા રેલવે ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નબળી કામગીરીને કારણે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિજ નીચે ચાલી રહેલી આ કામગીરીને કારણે અનેક વાહનો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહનચાલકો લપસી પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં જ એક ટેમ્પો બ્રિજ નીચેથી પસાર થતી વખતે અકસ્માતગ્રસ્ત બન્યો હતો. સ્થાનિકોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે સ્થળની મુલાકાત લીધી હતી અને સમસ્યાના ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, હાલ પણ કામગીરીમાં વેઠ હોવાથી વાહનચાલકો માટે પરિસ્થિતિ જોખમી રહે છે. આ ઉપરાંત, બ્રિજની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા એસટી બસોની અવરજવર પણ ખોરંભે પડી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તાજેતરના અકસ્માત બાદ બ્રિજ નીચે ખાડામાં ફસાયેલા વાહનને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ વાહનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ પરની વેઠ દૂર કરી માર્ગને સુરક્ષિત બનાવવા અને વાહન વ્યવહાર સુચારુ બનાવવા માટે સત્તાવાળાઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગંભીર બની છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે, તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે. 100થી ઓછી સંખ્યામાં ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશેસરકારના નિર્દેશ અનુસાર હવે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સિલર રાખવો પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા, અભ્યાસક્રમમાં ફેરફાર અથવા શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. કોચિંગ સંસ્થાઓને માનસિક તણાવ વધારતી પ્રથા બંધ કરવા આદેશખાનગી કોચિંગ સંસ્થાઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડવા, જાહેરમાં અપમાનિત કરવા કે અવાસ્તવિક અપેક્ષાઓ મૂકવા પર પ્રતિબંધ રહેશે. સરકારનું માનવું છે કે, આવી પ્રથાઓ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધારતી હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવી જરૂરી છે. દરેક સંસ્થાએ રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવો પડશેગાઈડલાઈન મુજબ, તમામ સંસ્થાઓએ આત્મહત્યા નિવારણ માટે તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવો પડશે. માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, નજીકની હોસ્પિટલ અને હેલ્પલાઈન નંબર છાત્રાલય, વર્ગખંડ, કેમ્પસના સામાન્ય વિસ્તારો અને સંસ્થાની વેબસાઇટ પર સ્પષ્ટ રીતે દર્શાવવા ફરજિયાત રહેશે. સાથે જ, શિક્ષક તથા બિન-શિક્ષક સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછા બે વખત માનસિક પ્રાથમિક સારવાર, ચેતવણીના લક્ષણોની ઓળખ અને યોગ્ય રેફરલ પ્રક્રિયા અંગે તાલીમ આપવાની સૂચના છે. જાતીય સતામણી અંગે ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ઊભી કરવા સૂચનાસરકારે ખાસ કરીને SC, ST, OBC, EWS, LGBTQ+ સમુદાય, અપંગ, હાંસિયામાં ધકેલાયેલા અને અગાઉ આત્મહત્યાના પ્રયાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ અને ભેદભાવ રહિત વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો છે. રેગિંગ, ગુંડાગીરી, જાતીય સતામણી કે ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ઉભી કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતી પર પણ ભાર મુકાયોઆ ઉપરાંત, માતા-પિતા માટે જાગૃતિ કાર્યક્રમો, કારકિર્દી પરામર્શ સેવાઓ અને NSS, ખેલ મહાકુંભ, સપ્તધારા જેવી અભ્યાસેતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કહેવામાં આવ્યું છે. છાત્રાલયોમાં સલામતી વધારવા માટે ચેડા-પ્રતિરોધક પંખા, બાલ્કની અને જોખમી વિસ્તારોમાં નિયંત્રણ જેવા નિવારક પગલાં અમલમાં મૂકવાના રહેશે. સંસ્થાઓએ વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવો પડશેશિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, તમામ સંસ્થાઓએ આ માર્ગદર્શિકાનો કડક અમલ કરવો પડશે. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કામગીરી અંગે વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવો ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને વિદ્યાર્થીઓના જીવન બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
જૂના તવરા TPL સીઝન-2: બાપુ ઇલેવન ચેમ્પિયન બન્યું:ફાઇનલમાં ટ્રોફી કિંગ ઇલેવનને 39 રનથી હરાવ્યું
ભરૂચના જુના તવરા ગામ ખાતે આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 ની ફાઇનલ મેચમાં બાપુ ઇલેવન ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મુકાબલો બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ ઇલેવન વચ્ચે રમાયો હતો, જેમાં બાપુ ઇલેવને 39 રનથી વિજય મેળવ્યો હતો. ટ્રોફી કિંગ ઇલેવને ટોસ જીતીને બાપુ ઇલેવનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બાપુ ઇલેવને નિર્ધારિત 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા. જવાબમાં, ટ્રોફી કિંગ ઇલેવનની ટીમ માત્ર 28 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના પરિણામે બાપુ ઇલેવન વિજેતા બન્યું. જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) 2025 અંતર્ગત આ ટુર્નામેન્ટ પૂર્વે એક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના વિવિધ સમાજોના 170થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઓક્શન દ્વારા દસ ટીમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે, યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રુચિ વધે અને પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ મળે તે હેતુથી સતત બીજા વર્ષે પણ TPL નું આયોજન કરાયું હતું. ભરૂચની પૂર્વ પટ્ટી પર ઝડપથી થઈ રહેલા વિકાસ અને શહેરીકરણ વચ્ચે ગામના યુવાનોમાં એકતા,ભાઈચારો અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે તે પણ આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય હતો.
રાપર તાલુકાના કીડીયાનગર ગામમાં પાણી ભરવા ગયેલી 40 વર્ષીય મહિલા તળાવમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. ભચાઉ ફાયર ટીમે બે કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. રાપર મામલતદાર દ્વારા ભચાઉ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી કે કીડીયાનગરમાં એક નાનકડા અને ઊંડા તળાવમાં પાણી ભરવા જતાં એક મહિલા પડી ગઈ છે. માહિતી મળતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બોટની મદદથી તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. સતત બે કલાકના પ્રયાસો બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ લીલીબેન કેશા કોળી (ઉંમર 40 વર્ષ) તરીકે થઈ છે. આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા અને મયુર રામાનંદી જોડાયા હતા. રાપર ટીમમાંથી કાનજીભાઈ ડોડીયા પણ આ બચાવ કાર્યમાં સામેલ હતા.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું. જેને લઈ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી દ્વારા જવાબદાર સામે માનવ વધનો ગુન્હો દાખલ કરવામાં આવે એવી કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. AAP કાર્યકર્તાઓ રજૂઆત કરવા મ્યુ. કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યાAAPના ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ સાથે શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં રજૂઆત માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગેટમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન હાય રે કોર્પોરેશન હાય હાય અને ભાજપ હમ સે ડરતી હે, પોલીસ કો આગે કરતી હૈ ના નારા લગાવ્યા હતા. કેટલાક કાર્યકર્તાઓ કમિશનર કચેરી ગેટ પર ચડી કચેરીમાં પ્રવેશવાની પ્રયાસ કર્યો હતો. બાદમાં આપના કાર્યકર્તાઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. પીડિત પરિવારને 5 કરોડની આર્થિક સહાય આપવાની માગAAP પાર્ટીના નેતા બ્રિજરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે, માંજલપુર વિસ્તારમાં બનેલી ઘટનામાં શહેરમાં ખુબજ દુઃખનો માહોલ છે ત્યારે આજે આમ આદમી પાર્ટી આ પરિવારના હક્ક, અધિકાર અને ન્યાય માટે આજે કમિશનરને મળવા માટે આવ્યા છીએ. પરંતુ ડરીને તેઓ ગાંધીનગર ભાગી ગયા છે. પરંતુ અમે ડેપ્યુટી કમિશનરને મળીને માંગણીઓ મૂકી છે કે, આવનાર દિવસોમાં આ પીડિત પરિવારને 5 કરોડની આર્થિક સહાય આપવામાં આવે. જે કોઈ જવાબદાર છે, તેઓની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે એવી માંગ છે. AAP રજૂઆત માટે આવે ત્યારે ગેટ પર તાળા મારી દેવામાં આવે છેવધુમાં કહ્યું કે, વડોદરા શહેરમાં વિકાસના નામે ચારે બાજુ ખાડા ખોદીને રાખ્યા છે અને લોકો ટેક્સ ભરે છે ત્યારે આ લોકોને કોઈ પડી નથી. ગુજરાતમાં NCRBનો રિપોર્ટ કહે છે કે, 500 લોકોના મોત તો ખાડામાં પડવાથી થયા છે. આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી જરૂર પડશે તો આંદોલન કરવા પણ તૈયાર છે. જયારે જ્યારે આમ આદમી પાર્ટી રજૂઆત માટે આવે છે, ત્યારે ગેટ પર તાળા મારી દેવામાં આવે છે. પોલીસને આગળ કરી દેવામાં આવે છે અને અધિકારીઓ ભાગતા ફરે છે તેનું કારણ છે કે તેઓ ખોટા છે. જનતાના ટેક્સના પૈસે ઘર ભરવાનું કામ કરે છે. બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોના મોત થાય છે. આગામી દિવસોમાં જે કઈ કરવું પડશે તે અમે કરીશું.
પવિત્ર સંકલ્પ અને ભક્તિભાવ સાથે હરિદ્વારના હરકીપૌડીથી જામનગર જિલ્લાના પાવન ગામ ખરેડી ખાતેના શ્રી ખડેશ્વર મહાદેવ મંદિર પર ગંગાજળ અભિષેકના સંકલ્પ સાથે 1400 કિલોમીટરની લાંબી રીલે દોડનો ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં રાજ્ય પોલીસના બે પીએસઆઈ સાથે 35 યુવાનો જોડાયા છે. જેને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. આ અનોખી અને કઠિન કાવડ યાત્રાનો ઉત્તરપ્રદેશના હરિદ્વાર પવિત્ર ગંગા કિનારાના હરકીપૌડીથીનો પ્રારંભ કરાયો છે. આ કાવડ યાત્રા ગંગાજળ લઇને સૌરાષ્ટ્રના જામનગર નજીકના ખરેડી ગામે 1400 કિમીનું અંતર કાપીને ફક્ત સાત દિવસમાં પહોંચશે, યાત્રામાં સુરત શહેરના સલાબતપુરામાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.ડી.સિસોદિયા અને વડોદરાના પીએસાઈ એમ.ડી.જાડેજા સહિત 35 યુવાનો ખભેખભા મિલાવીને સતત દોડી રહ્યા છે. રોજિંદા સતત દોડીને ગંગાજળ લઈને આ યાત્રા આયોજનબદ્ધ રીતે આગળ વધશે. પીએસઆઈ સિસોદિયાએ આ યાત્રાના આયોજન અગાઉ પોતાના હમવતની 35 યુવાનોને દોઢ માસ અગાઉ પ્રેક્ટિસ કરાવી હતી. તેમજ યુવાવર્ગને ફક્ત મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેવાના બદલે પોતાના શરીરની ફિટનેસ, વ્યસનથી દૂર અને ધાર્મિકતાના સંસ્કારોનું સિંચન થાય એવો પવિત્ર સંદેશો આપ્યો છે. આ કવાડ યાત્રા થકી યુવાનોની શક્તિને જાગૃત બનાવીને સાચો માર્ગ મળશે. સ્વસ્થ જીવનશૈલી, શિસ્ત અને આધ્યાત્મિકતાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગંગામૈયાની આરાધના સાથે શુભ સંકલ્પ લેવામાં આવ્યો છે. માર્ગ દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા કાવડ યાત્રિકોનું સ્વાગત અને સહયોગ પણ મળી રહ્યો છે. ભગવાન શિવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા યુવાનો હોંશભેર દોડી રહ્યા છે. જે તેમની અનોખી ભક્તિ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામે સોમવારે ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સુવિધા પથનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, ગામના સામુહિક ઉપયોગ માટેના માર્ગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિરાવાડા ગામમાં આરોગ્ય કેન્દ્રથી ડેમાઈ તરફ જતા સુવિધા પથના અંદાજિત રૂ. 70 લાખના વિકાસકામનું ખાતમુહૂર્ત થયું. આ સાથે, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને ગામના સામુહિક ઉપયોગમાં આવતાં અંદાજિત રૂ. 7 લાખના ખર્ચે બનેલા માર્ગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવનિર્મિત માર્ગોના કારણે ગ્રામજનો, વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને સરળ, સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહારની સુવિધા મળશે. આ વિકાસકાર્યોથી ગામના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ વનરાજસિંહ રાઠોડ, વિરાવાડા ગામના સરપંચ શર્મિષ્ઠાબેન પટેલ, સિનિયર કાર્યકર્તાઓ કાલિદાસભાઈ પ્રજાપતિ અને અરુણભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)ના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરમાં રહેતી મુકબધીર સગીરાને બગીચામાં લઇ જઇ પાડોશી સગીરાએ અને તેમના મિત્ર સાથે મળી સગીરાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂ.7.70 લાખ બળજબરીથી કઢાવી લેતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં યુવક અને સગીરા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં આરોપી યુવક અને તેની મિત્ર સગીરાએ ભોગબનનાર સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી જેના પગલે ડરી ગયેલી સગીરાની માતાએ પૂછપરછ કરતા હક્કિત જણાવી હતી. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી બંન્નેને સંકજામાં લઇ રૂપિયા રિકવર કરવા તજવીજ હાથ ધરી છે. 7.70 લાખ રૂપિયા ઘરની અંદર સેટીમાં રાખ્યા હતા રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા 31 વર્ષીય મહિલાએ પાડોશમાં રહેતી સગીરા અને તેમના મિત્ર રૂત્વીક સામે પોક્સો અને બળજબરીથી પૈસા પડાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની દીકરી છે જે બોલી કે સાંભળી શકતી નથી. ગત તા.4 ડિસેમ્બરથી 3 દિવસ સુધી તેમના મોટા દીકરા અને જેઠની દીકરીના લગ્ન હતા. જે લગ્નના ખર્ચ માટે જેઠના દીકરાએ તેમને 27.09.2025ના રોજ 7.70 લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈસા તેમણે ઘરની સેટીમાં મુક્યા હતા ત્યારે મુકબધીર દીકરી ઘરમાં હાજર હતી. ત્યારબાદ ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ સાંજના સમયે જેઠના દીકરાએ પૈસા પરત માંગતા સેટીમાં જોયું તો પૈસા ગાયબ હતા જેથી આ મામલે ઘરના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને ઘરમાં શોધખોળ કરી છતા પૈસા મળ્યા ન હતા. લગ્નપ્રસંગ પૂરો થતા મુકબધીર દીકરીને પૂછતા તેમણે સાંકેતીક ભાષામાં જણાવ્યુ હતું કે, પાડોશમાં રહેતી સગીરા તેમજ તેમનો મિત્ર રૂત્વીકની સાથે તેમના કહેવાથી ઘર પાસે આવેલા બગીચે ગઇ હતી અને ત્યાં આ પડોશમાં રહેતી સગીરાર ભોગબનનાર સગીરા અને રૂત્વીકનો સાથે હોય તેવો ફોટો પાડયો હતો. આ સમયે રૂત્વીકે શરીરે અડપલા કર્યા હતા. પોલીસે આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી આ વાત કોઇને કઇશ તો તારા ફોટા તારા માતા-પિતા અને સગા સંબંધીને વાયરલ કરી દઇશ તેમ કહી ધમકી આપી કટકે કટકે બળજબરીથી ઘરમાં રહેલા 7.70 લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે સગીરા અને તેમના મિત્ર રૂત્વીકને સંકજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના ગોટીયામાળ ગામ ખાતે ચાર રસ્તા નજીક એક આંબાના ઝાડ પર બે દીપડાં લડતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બંને દીપડાં આંબાના ઝાડ પર એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો અચાનક થંભી ગયા હતા. કેટલાક ગ્રામજનો રોજિંદા કામ માટે બહાર નીકળ્યા ત્યારે ઝાડ પરથી અવાજો સાંભળીને તેમનું ધ્યાન ગયું હતું. સુરક્ષાના કારણોસર લોકોએ દૂરથી જ આ દ્રશ્ય નિહાળ્યું હતું અને તાત્કાલિક અન્ય લોકોને ચેતવણી આપી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાં વસતી વિસ્તારો નજીક અવારનવાર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જંગલ વિસ્તારની નજીક આવેલા ગામોમાં દીપડાંની હાજરી હવે સામાન્ય બની રહી છે, જે ગ્રામજનો માટે સતત ચિંતાનો વિષય છે. ગોટીયામાળ ગામમાં દીપડાં દેખાતા લોકોમાં ભયનો માહોલ છે અને રાત્રિના સમયે બહાર નીકળવામાં તેઓ સંકોચ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહાલ ગામના સીમ વિસ્તારમાં દીપડાના હુમલામાં એક બાળકનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાએ સમગ્ર ડાંગ જિલ્લામાં ભયની લાગણી વધુ ઘેરી બનાવી છે. આ દુર્ઘટનાની યાદ તાજી હોવાના કારણે ગોટીયામાળમાં દીપડાં દેખાતા લોકો વધુ ગભરાઈ ગયા છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી છે અને દીપડાંના સતત દેખાવને લઈ કાયમી ઉકેલની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે વસતી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું, પાંજરા મૂકવા અને રાત્રિ દરમિયાન નજર રાખવાની વ્યવસ્થા જરૂરી છે. વન વિભાગ દ્વારા પણ લોકોમાં સાવચેત રહેવા, બાળકોને એકલા બહાર ન મોકલવા અને રાત્રિના સમયે અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં વધતા દીપડાંના બનાવોને લઈ સુરક્ષા અને માનવજીવનના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ વધુ મજબૂત બની રહી છે.
હિંમતનગર સ્વામી વિવેકાનંદ સર્કલ પર પોલીસ પોઇન્ટ મુકાયો:લોકદરબારમાં સ્થાનિકની રજૂઆત બાદ અમલ
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ પોઇન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા લોકદરબારમાં રજૂઆત કરાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્કલ હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલું છે અને અહીં દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ટ્રાફિક સમસ્યા અંગેની રજૂઆત ૧૧ દિવસ પહેલા હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન કરાઈ હતી. આ લોકદરબાર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. લોકદરબારમાં મહેતાપુરા વિસ્તારના સ્થાનિક મહેશ શર્માએ સ્વામી વિવેકાનંદ સર્કલ પર ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઇન્ટ મૂકવાનું સૂચન કર્યું હતું. તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ સૂચનના અમલ રૂપે, જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પોલીસ પોઇન્ટ મૂકીને ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. સ્થાનિકોએ તેમના સૂચનનો અમલ થતાં આ પગલાંને આવકાર્યું છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC અને ગુંદલાવ વિસ્તારમાં કાર્યરત ખાનગી કંપનીઓના કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેર અને પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ 'આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કર્યું હતું. અનંત પટેલે કહ્યું કે, વર્ષ 2027માં કોંગ્રેસની જ સરકાર બનશે. અમે આપ-ભાજપમાં ગાબડું પાડવાની તૈયારીમાં છીએ. રેલી દરમિયાન કામદારોને થતા અન્યાયના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય અનંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓ દ્વારા કામદારોનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારોની મુખ્ય માંગણીઓમાં સરકારી ધારાધોરણ મુજબ પૂરતું વેતન ન મળવું, સ્ત્રી અને પુરુષ કામદારોને સમાન વેતન આપવું, પી.એફ. (PF) ના પૈસામાં ગેરરીતિઓ, અકસ્માત સમયે યોગ્ય વળતરનો અભાવ, મૂળભૂત સુવિધાઓનો અભાવ અને ઓવરટાઇમનું યોગ્ય વળતર ન મળવું વગેરેનો સમાવેશ થાય છે. અનંત પટેલે જણાવ્યું કે, ઘણી કંપનીઓમાં શૌચાલય, કેન્ટીન અને વાહન પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. કામદારો પાસે વધુ કલાકો કામ કરાવીને તેમને ઓવરટાઇમનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. રેલી દરમિયાન અનંત પટેલે ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, 2027માં કોંગ્રેસની જ સરકાર બનશે. અમે પણ આપમાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છીએ. જીતુભાઈને લાવીને ભાજપમાં ગાબડું પાડવાના છીએ. આપના આદિવાસી આગેવાનો સાથે પણ અમારી વાત ચાલુ છે. ટુંક સમયમાં તે લોકો જોડાઈ પણ જશે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ફરી કોંગ્રેસમાં જોડાશે તેવી વાતો ચાલી રહી છે. રેલીના અંતે કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા કામદારોએ વાપી નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને સત્તાધીશોને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું. કામદારોએ 'અમને અમારો હક આપો' અને 'લડશું અને જીતશું' જેવા બેનરો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આણંદમાં NRG SPET રત્ન એવોર્ડ પ્રદાન કરાયા:9 NRG SPET રત્ન અને 3 વિશેષ SPET રત્નથી સન્માનિત કરાયા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વિદેશમાં રહેતા ગુજરાતીઓને પડતી સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સ્તરે NRG ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને સોંપાયેલું NRG સેન્ટર, આણંદ આ ફાઉન્ડેશનની જિલ્લા સ્તરની શાખા છે. NRG સેન્ટર, આણંદ દ્વારા દર વર્ષે NRG MEETનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદેશમાં રહીને પણ પોતાના દેશ અને રાજ્ય માટે નોંધપાત્ર યોગદાન આપનાર બિન-નિવાસી ગુજરાતીઓને NRG SPET રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પણ NRG MEET અને પ્રતિષ્ઠિત NRG SPET રત્ન એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં કુલ 9 NRG SPET રત્ન એવોર્ડ અને 3 વિશેષ SPET રત્ન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા. NRG SPET રત્ન એવોર્ડથી સન્માનિત થયેલા મહાનુભાવોમાં સંદીપભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ (મેકદાદા), મુકેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ (સી. ઝેડ. પટેલ), રોહિતભાઈ પટેલ, રશ્મિકાંત ડોડા, ડૉ. અમિતભાઈ શેઠ, જીતુભાઈ પટેલ અને મોનાંક પટેલનો સમાવેશ થાય છે. ડૉ. હિમ્મતભાઈ પટેલ, ડૉ. મોહનભાઈ પટેલ અને ડૉ. પ્રતીક્ષા જે. પટેલને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ વિશેષ SPET રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલને તેમના સતત માર્ગદર્શન, દૃઢ નેતૃત્વ અને અવિરત કર્મશીલતાને બિરદાવતાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બાદ બી.એન. પટેલ પ્રાયમરી સ્કૂલ અને બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય એકતાની ભાવના અને ગુજરાતની માટીની સુગંધને પ્રસ્તુત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણેશદાસજી મહારાજ, વિશેષ અતિથિ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા રાજપીપળાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ રમેશ પંચાલ હાજર રહ્યા હતા. DBS બેંકના ટ્રેઝરી હેડ ગૌરવ ડિગે, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત મેનેજિંગ ટ્રસ્ટી અન્વેષભાઈ પટેલ, સંયુક્ત મંત્રી રમેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ શાહ તથા મૃદુલાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને એવોર્ડીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ગણેશદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર રહીને પણ સ્વદેશ અને પોતાની જન્મભૂમિ માટે સતત કાર્યરત રહેતા આ બિન-નિવાસી ગુજરાતીઓ ખરેખર ગૌરવ અને સન્માનને પાત્ર છે.
પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સન્માન:ગૌ ભક્તો અને 75 વર્ષથી વધુ વયના વડીલોનું કરાયું સન્માન
પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌ ભક્તો અને વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનાવાડા ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના મુખ્ય આયોજક ચેતનભાઈ રામશંકર વ્યાસ અને ગૌશાળા સંચાલક દિનેશભાઈ જોશીનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત, કાઉન્સિલના 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈએ જણાવ્યું હતું કે, સંસ્થામાં એકબીજા પ્રત્યેનો ભાવ જોઈને આનંદ થાય છે. તેમણે વડીલોને અનુભવનું ભાથું અને ઘરના છાપરા સમાન ગણાવ્યા હતા. નાઈએ ઉમેર્યું કે, જેમ છાપરું ઘરને સુરક્ષા આપે છે, તેમ વડીલોની હાજરીમાં આખો પરિવાર સુરક્ષા અનુભવે છે. કાઉન્સિલના પ્રમુખ રમેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગૌભક્ત ચેતનકુમાર રામશંકર વ્યાસ અને હરિઓમ ગૌશાળાના દિનેશભાઈ જોશીનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ચેતનભાઈ વ્યાસ અને દિનેશભાઈ જોશીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેતનભાઈ વ્યાસે સંસ્થાને આર્થિક યોગદાન પણ આપ્યું હતું. પાટણના મહાકાળી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે આશીર્વાદ પાઠવ્યા હતા. 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોને વિવિધ ભેટો આપી સન્માનિત કરાયા હતા. શાહ ભૂપેન્દ્રભાઈએ સ્મૃતિચિન્હ, પટેલ પ્રહલાદભાઈએ સ્ટીક, પટેલ વાલીબેને શાલ, પૂર્વ પ્રમુખ પટેલ મફતલાલે થેલી અને મહાદેવભાઈ મહેશ્વરીએ ધાર્મિક પુસ્તક ભેટ આપ્યા હતા. કાઉન્સિલનો પરિચય પૂર્વ પ્રમુખ રમણભાઈ પટેલે આપ્યો હતો. આ કાર્યક્રમમાં કાઉન્સિલના મંત્રી પ્રહલાદભાઈ પટેલ, કાળીદાસ પટેલ, કેવળદાસ પટેલ, પૂર્વ પ્રમુખ રમણભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, મહેન્દ્રભાઈ રાવલ, મૂળશંકર વ્યાસ, મોહનભાઈ પટેલ અને પ્રવીણભાઈ જોષી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભોજનના દાતા તરીકે પાટણના પટેલ રણછોડભાઈ પુંજાભાઈએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન આત્મારામભાઈ નાઈએ કર્યું હતું, જ્યારે અમૃતભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.
ડીજીપી વિકાસ સહાય નિવૃત્તિ પહેલા ગોધરા પહોંચ્યા:કારકિર્દીના પ્રથમ પોસ્ટિંગ સ્થળની મુલાકાત લીધી
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતી. આ સ્થળ તેમની કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ સ્થળ હતું. ગોધરા સ્થિત એસ.પી. કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ વર્ષ 1991માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. લાંબા સમય બાદ તેઓ ફરી ગોધરા આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી, પંચમહાલ જિલ્લાના પોલીસવડા, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીજીપી વિકાસ સહાયે આ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યની પડકારો અને જનસુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિકાસ સહાયે પોતાના અનુભવના આધારે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી. નિવૃત્તિ પૂર્વે કારકિર્દીના પ્રારંભિક સ્થળની મુલાકાત લેતા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગોધરા અને પંચમહાલ જિલ્લાના વિકાસમાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે.ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) ની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે જૂનાગઢ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ જાડેજા અને તેના સાથીદારો દ્વારા રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગણેશ ગોંડલ સહિત 7 થી વધુ શખ્સો સામે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હુમલા બાદ દલિત સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી અને આરોપીઓની ધરપકડ માટે મોટા પાયે આંદોલનો પણ થયા હતા. સમાધાનની વાતો વહેતી થતા સમાજમાં રોષ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગણેશ જાડેજા અને ફરિયાદી પક્ષ એટલે કે રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ બાબતે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે, એટ્રોસિટી એક્ટ એ સામાજિક સુરક્ષા માટેનો કાયદો છે અને તેમાં વ્યક્તિગત રીતે સમાધાન કરવાની કોઈ જોગવાઈ નથી. સમાજનું માનવું છે કે આ પ્રકારના ગંભીર ગુનામાં જો સમાધાન સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં ગુનેગારોનો ભય ઓછો થઈ જશે. અનુ.જાતિ સમાજની સ્પેશિયલ PPની નિમણૂકની માંગ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડીયાએ જણાવ્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપી માંગ કરી છે કે આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે. સોશિયલ મીડિયામાં જે સમાધાનના વીડિયો વાયરલ થયા છે, તેને પણ પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી કાયદાકીય પ્રક્રિયામાં કોઈ બાંધછોડ ન થાય. આરોપીઓને નમૂનારૂપ સજા થાય તે અત્યંત જરૂરી છે. કાયદાના નિષ્ણાંતો મુજબ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓ નોન-કમ્પાઉન્ડેબલ (બિન-સમાધાનપાત્ર) હોય છે. ફરિયાદી ભલે મૌખિક રીતે સમાધાનની વાત કરે, પરંતુ કોર્ટમાં કેસ ચાલુ રહે છે. જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજનું કહેવું છે કે આ કેસ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો નથી, પણ સમગ્ર સમાજના સ્વાભિમાનનો છે. જો ફરિયાદી પક્ષ દબાણમાં આવીને કે અન્ય કોઈ કારણસર નરમ પડે તો પણ ન્યાયતંત્રએ આરોપીઓ સામે કડક વલણ અપનાવવું જોઈએ. હાલ તો આ આવેદનપત્ર બાદ તંત્ર અને સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બીજી તરફ, રાજુ સોલંકી દ્વારા કરવામાં આવેલા સમાધાનના વિરોધમાં સોશિયલ મીડિયા પર સમાજના લોકો દ્વારા અનેક વીડિયો વાયરલ કરીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ કેસ હવે રાજકીય અને સામાજિક રીતે વધુ ગરમાયો છે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2થી 3 વર્ષ પહેલા ચાવડીગેઇટ પીજીવીસીએલ કચેરીથી કુંભારવાડા અંડરબ્રિજ સુધી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેજ સ્થળ પર નવો રોડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પણ તે કામ એક સાઈડ રોડ અને ડિવાઈડર બનાવી અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. અંદાજિત છેલ્લા 2 માસથી વધુ સમય થયા બાદ પણ કામકાજ બંધ પડ્યું છે. જેથી જે લોકોનું અગાવ આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું તે લોકોએ ફરી આ વિસ્તારમાં વસવાટ શરૂ કરી દીધો છે. ત્યારે આ રોડનું કામ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભાવનગર શહેરના ચાવડીગેટ ચોકથી કુંભારવાડા રેલવે અંડર બ્રિજને જોડતા માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા બેથી ત્રણ વર્ષ પહેલા આ રોડ પર ખડકાયેલા 50થી વધુ ગેરકાયદે રહેણાંક ધરાવતા કાચાપાકા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારબાદ અહીં રોડ બનાવવા ખોદકામ કરવામાં આવ્યું હતું, તેમજ વચ્ચે ડીવાઈડર બનાવી રસ્તાને બે માર્ગીય બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સામસામા વાહનો પસાર થતા અકસ્માતની સંભાવના પરંતુ લાંબો સમય વીતવા છતાં અહીં હજુ સુધી મનપા દ્વારા એક તરફનો રોડ બનાવવામાં જ નથી આવ્યો, એક રોડ ચાલુ હોય સામસામા વાહનો પસાર થતા અકસ્માતની પણ સંભાવના વધી રહી છે, જ્યારે અહીં રહેતા લોકો ફરી પુનઃ દબાણ કરવાનું શરૂ કરી ગ્રાઉટીંગ કરેલા રોડ પર જ ધામા નાખી વસવાટ શરૂ કરી દીધો છે. કોગ્રેસના મનપા પર પ્રહારત્યારે આ બાબતે કોગ્રેસ પક્ષે મનપાના શાસકો દ્વારા શહેરમાં ચાલતા એક પણ કામ સમય મર્યાદામાં પૂર્ણ નથી થઈ રહ્યા અને ચૂંટણીને લક્ષમાં રાખીને કામ કરી રહ્યાના તીખા પ્રહારો કરવામાં આવ્યા છે. જ્યારે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેનને માન્યું કે આ રોડનું કામમાં વિલંબ થયો છે અને થોડા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરી વહેલી તકે કામ પૂર્ણ કરવાનું જણાવી રહ્યા છે 'પહેલાં એકદમ મોટો રોડ અને આગળ જતા એકદમ ટૂંકો રોડ'ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા છે. રોડનું કામ થવું જોઈએ, અમે પણ માનીએ છીએ, પણ પહેલાં એકદમ મોટો રોડ અને આગળ જતા એકદમ ટૂંકો રોડ. બાજુમાં ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસ છે. તેની ફાજલ જગ્યા પણ પડી છે. કદાચ સરકાર, કોર્પોરેશનમાં એની, રાજ્ય સરકારમાં એની, કેન્દ્રમાં પણ એની સરકાર છે. એ જગ્યા લેવામાં આવે તો કુંભારવાડા અંડરબ્રિજ સુધીનો સારો એવો રોડ થઇ શકે એમ છે. પણ એવું લાગે છે આ રોડ ફક્ત આમનમ યથાવત રાખ્યો છે. 'રોડના કામો થઈ રહ્યા છે, પણ સમય મર્યાદામાં એક પણ કામ થતું નથી'તેને વધુમાં કહ્યું કે, અનેક અકસ્માતો થયા છે અને રોડ બન્યો ત્યાં પુનઃ વસવાટ શરૂ થઈ ગયો છે. કમનસીબે આ શાસકો અને અધિકારીનું ધ્યાન ત્યાં જતું નથી. પણ આગામી ચૂંટણી આવી રહી છે એને લક્ષમાં રાખીને અત્યારે ભાવનગરમાં આડેધડ રોડના કામો થયા છે. રોડ ઉપર રોડના કામો થઈ રહ્યા છે, પણ સમય મર્યાદામાં એક પણ કામ થતું નથી. અત્યારે ચૂંટણી આવે છે એટલે એવું માનું છું કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરના રોડ રસ્તામાં વાપરવાના છે. એવું લાગે છે કે આ રૂપિયા બગાડી રહ્યા છે. ફક્ત ચૂંટણી સુધી આ રોડ સારા રહેશે, પછી આ રોડ તૂટી જશે. ડિમોલેશન કરીને અનેક રોડ ખોલવામાં આવ્યાભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા જણાવ્યું હતું કે, કોઈ પણ કામ મહાનગરપાલિકા કરે છે ત્યારે પ્લાનિંગ સાથે કામ કરી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના રોડ રસ્તામાં કનેક્ટિવિટીમાં સુધારો થાય અને કનક્ટિવિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં એવા અભિગમ સાથે ભાવનગરમાં ઐતિહાસિક રીતે ડિમોલેશન કરીને અનેક રોડ ખોલવામાં આવ્યા છે. ખાસ કરીને 18 મીટરનો રોડ હોય, 24 મીટરનો રોડ હોય, 36 મીટરનો રોડ હોય, આ તમામ જગ્યાએ ડિમોલેશન કરીને લોકોની કનેક્ટિવિટી અને લોકોની મોટરેબલ જે વ્યવસ્થાઓ છે, ચાલવા માટેની એની સુવિધામાં વધારો થાય એના કામો થયા છે. 'જેમજેમ બીડ ખુલતા ગયા છે તેમ કામગીરી થતી રહીએના ભાગરૂપે ચાવડીગેટ વિસ્તારની અંદર ચાવડીગેટ પીજીવીસીએલની કચેરીથી કુંભારવાડા અંડર બ્રિજ સુધી મનપાએ ખૂબ મોટું ડિમોલેશન કર્યું છે. આ ડિમોલિશન બાદ ત્યાં મેટલ ગ્રાઉન્ટિંગ કરવાનું કામ પૂર્ણ કર્યું છે, સાથે ડિવાઈડરનું કામ પૂર્ણ કર્યું છે. જેમજેમ બીડ ખુલતા ગયા છે તેમ કામગીરી થતી રહી છે. આગામી દિવસોમાં રી કાર્પેટ માટે થઈને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે ગાંધીનગર પોલીસે લાલ આંખ કરી છે. માણસા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે બિલોદરા ગામની સીમમાં આવેલા એક એરંડાના ખેતરમાં દરોડો પાડી 2.88 લાખની કિંમતની કુલ 960 નંગ ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. જોકે પોલીસને જોઈ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેતરમાં ચાલતા ચાઈનીઝ દોરીના વેચાણ પર દરોડોઉત્તરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે ગાંધીનગર જિલ્લા પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. માણસા પોલીસ સ્ટેશનના પીઆઇ રાકેશ ડામોરની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, બિલોદરા ગામનો દલપુજી અમાજી ઠાકોર નામનો શખ્સ મહેસાણા-હિંમતનગર હાઈવે પર ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર 361 વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. પ્રતિબંધિત દોરીની 960 રીલ મળી આવીજે બાતમીના પગલે પોલીસ એરંડાના ખેતરમાં ત્રાટકી હતી. જ્યાં એરંડાના વાવેતરની વચ્ચે છુપાવેલા પ્લાસ્ટિકના 20 જેટલા કાર્ટૂન મળી આવ્યા હતા.બાદમાં પોલીસે કાર્ટૂન ખોલીને તપાસ કરતા તેમાંથી કુલ 960 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેની બજાર કિંમત મુજબ આ જથ્થાની કુલ કિંમત રૂ.2.88 લાખ જેટલી થાય છે. આરોપી પોલીસને જોઈ નાશી છૂટ્યોજોકે પોલીસના દરોડા દરમિયાન આરોપી દલપુજી ઠાકોર હાજર મળી આવ્યો ન હતો. આ તમામ જથ્થા પર 'મોનોફિલ ગોલ્ડ' એવું લખાણ હતું અને તે જાહેર જનતા તેમજ પશુપક્ષીઓ માટે અત્યંત જોખમી હોવાનું જણાયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને નાયલોન કે સેન્થેટીક મટીરીયલથી બનેલી દોરીના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવા બદલ માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહનચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા. જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી. અન્ય વાહનચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એ-ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ દરમિયાન, રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા. તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે. આનો ઉદ્દેશ્ય આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
મિતીયાજ ગામમાં સિંહ-સિંહણનો આતંક:વહેલી સવારે ગાભણ ગાયનું મારણ કર્યું, ખેડૂતોમાં ભય
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં આજે વહેલી સવારે સિંહ અને ત્રણ સિંહણોએ એક ગાભણ ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ખેડૂત પરિવાર અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂત મનુભાઈ રાણાભાઈ પરમાર સવારે લગભગ 5 વાગ્યે પોતાના પશુઓના દોહન માટે વાડા તરફ ગયા ત્યારે આ હુમલો થયો હતો. સિંહ-સિંહણો ગામની સીમ નજીક ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. ઘટનાની જાણ થતાં જ મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ અને સામાજિક કાર્યકર લલિત વાળા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગના અધિકારીઓને જાણ કરી. સરપંચ સુરપાલસિંહ બારડ અને લલિત વાળાએ વન વિભાગને તાત્કાલિક સર્વે કરી નુકસાન પામેલા ખેડૂતને યોગ્ય અને ઝડપી સહાય ચૂકવવાની માંગ કરી હતી. સાથે જ, ગામ આસપાસ ફરી રહેલા સિંહ-સિંહણોના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા પણ વિનંતી કરી. આ ઘટનાને પગલે મિતીયાજ સહિત આજુબાજુના ગામોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. ગ્રામજનો દ્વારા રાત્રિ અને વહેલી સવારના સમયે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે વન વિભાગ તરફથી આગળની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.
વડોદરા શહેર પોલીસે શહેરના 17 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1.71 કરોડની કિંમતની 50 હજારથી વધુ દારુ અને બિયરની બોટલોનો નાશ કર્યો હતો. આ સમયે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, ચારેય ઝોનના ડીસીપી, તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનોના પીઆઇ હાજર રહ્યા હતા અને દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયા હતા. 50,000થી વધુ દારૂ-બિયરની બોટલનો નાશ કરાતા દારૂની રેલમછેલ જોવા મળીવડોદરા શહેરના છેવાડે આવેલ કોયલી ચેકપોસ્ટની સામે ખુલ્લા પ્લોટમાં દારુ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લોટમાં દારૂની રેલમછેલ થતી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં દારુ અને બિયરની બોટલો જોવા મળી હતી. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં વડોદરા શહેરમાં અલગ-અલગ રાજ્યોમાંથી દારૂનો સપ્લાય થાય છે. જો કે, વડોદરા શહેર પોલીસ એલર્ટ હોવાથી અવારનવાર દારૂનો જથ્થો પકડાય છે. વડોદરામાં વર્ષ 2025 દરમિયાન દારૂના 3200થી વધુ કેસવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 3,200થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે અને આ કેસોમાં સંડોવાયેલા આરોપીઓની તેટલી જ મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસોની તપાસ દરમિયાન અંદાજે ₹9.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આજે શહેરના 17 પોલીસ સ્ટેશનની હદમાં જપ્ત કરાયેલી 50,000 થી વધુ દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 1.71 કરોડ રૂપિયાથી વધુ થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસે વર્ષ 2025 દરમિયાન 131થી વધુ રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે, જ્યારે 15 આરોપીઓને શહેરના કાર્યક્ષેત્રમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. જેથી કરીને આ પ્રકારની પ્રવૃતિઓ પર નિયંત્રણ રહે. પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ જે આરોપીઓએ જામીન લીધા બાદ શરતોનો ભંગ કર્યો હોય તેવા 89 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી દંડ પેટે 5.50 લાખ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી છે. તેઓએ ઉમેર્યુ હતું કે, અલ્પુ સિંધી અને તેની ગેંગ જેવા સંગઠિત ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2025માં ઇન્ટેલિજન્સ ગેધરીંગ (બાતમીદારોનું નેટવર્ક) મજબૂત કરવું, બુટલેગિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાણીતા ગુનેગારો પર સતત નજર રાખવી અને દારૂનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને સેવન કરનાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને વર્ષ 2026માં પણ પોલીસ આ જ રીતે સક્રિય રહેશે.
પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે, જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણે થવા દેવાના નથી. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે, વરણી પ્રક્રિયામાં સેન્સ લેવાની પદ્ધતિને સંપૂર્ણપણે અવગણીને મરજી મુજબ કામ કરાયું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દલિત સમાજમાં આંતરિક વર્ગીકરણ કરી અન્યાયની વાતો ઉપજાવી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સમાજ એકજૂથ છે. તેમણે મેવાણી અને પીઠડિયા પર નિશાન સાધતા કહ્યું કે, તેમનો પ્રતિભાવ હંમેશા ઉડાઉ રહ્યો છે અને તેઓ જિલ્લાના પ્રતિનિધિઓને મળવા પણ તૈયાર નથી. હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા આ વિરોધ ઉભો થયો છે. સમાજના આગેવાનોના મતે, હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની પકડ SC મતદારોમાં મજબૂત બની હતી. જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ 250 આગેવાનોએ તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી હતી, જેને પક્ષ દ્વારા અવગણવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ વિવાદના પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણીઓની એક ચિંતન બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રમુખને પૂર્વ જાણકારી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે, એકત્રિત થયેલા કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ન્યાય નહીં મળે, તો પાટણ જિલ્લાના 1000 થી 2000 જેટલા દલિત આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા સોંપશે.
NITI આયોગ દ્વારા ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ અંગે જાહેર કરાયેલા તાજેતરના અહેવાલમાં ગુજરાત સરકારની દૂરદૃષ્ટિપૂર્ણ પહેલને વિશેષ પ્રશંસા મળી છે. ગાંધીનગરની GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં સ્થાપિત કરાયેલી ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી (GBU)ને ભારતના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટેનું સફળ અને પુનરાવર્તનીય મોડેલ ગણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને દેશમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તે માટે પહેલNEP-2020 અને ‘વિકસિત ભારત@2047’ના વિઝન પર આધારિત આ અહેવાલમાં જણાવાયું છે કે આજે એક વિદેશી વિદ્યાર્થી સામે 28 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેશ બહાર જાય છે, જેના કારણે ભારતની GDPના આશરે 2 ટકા જેટલી રકમ વિદેશમાં જતી રહે છે. આ પડકાર સામે ગુજરાત સરકારે વર્ષ 2020માં GBUની સ્થાપના કરીને વિદ્યાર્થીઓને દેશમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તે માટે પહેલ કરી હતી. NITI આયોગના GIFT સિટીને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવા વિઝનસ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબરા સાથે ભાગીદારીમાં શરૂ થયેલી GBU, વિશ્વની પ્રથમ બાયોટેક્નોલોજી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. GIFT સિટીમાં 23 એકરના અદ્યતન કેમ્પસમાં રૂ.80 કરોડથી વધુના સંશોધન સાધનો અને રૂ.200 કરોડના ખર્ચે ઊભું થતું આંતરરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર NITI આયોગના GIFT સિટીને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવાના વિઝનને સાકાર કરે છે. GAT-B દ્વારા દેશના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધોGBUમાં પ્લાન્ટ, એનિમલ, મેડિકલ, ઇન્ડસ્ટ્રિયલ અને એન્વાયરમેન્ટલ બાયોટેક્નોલોજીના માસ્ટર્સ અભ્યાસક્રમો અમલમાં છે. ચેલેન્જ આધારિત પ્રેક્ટિકલ, નવ મહિનાની રિસર્ચ ડિસર્ટેશન અને પસંદગીના વિદ્યાર્થીઓ માટે એડિનબરામાં રિસર્ચ ઇન્ટર્નશીપ જેવી નવીન વ્યવસ્થાઓ યુનિવર્સિટીને અલગ ઓળખ આપે છે. વર્ષ 2025માં GAT-B દ્વારા દેશના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો છે. PhD સ્કોલર્સને ફેલોશિપ અને સંશોધન માટે વ્યાપક તકોમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં GBUએ રૂ.40 કરોડથી વધુની રિસર્ચ ગ્રાન્ટ્સ મેળવી છે. સાથે જ PhD સ્કોલર્સને ફેલોશિપ અને સંશોધન માટે વ્યાપક તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં મળેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ તથા ફંડિંગે GBUની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણમાં ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યુંNITI આયોગના અહેવાલ મુજબ, એડિનબરા યુનિવર્સિટીના 440 વર્ષના શૈક્ષણિક વારસાને GIFT સિટીના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડીને ગુજરાત સરકારે GBU મારફતે બ્રેઈન ડ્રેન અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. પરિણામે, ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણમાં ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે.
સુરતના વિસ્તારમાં આવેલું અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું 'સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ' હાલ વહીવટી નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના આરોપોના વમળમાં ફસાયું છે. 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું, તે માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં જ મુલાકાતીઓ માટે 'જોખમી' જાહેર કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, 28 માર્ચ, 2025થી આ એક્વેરિયમ જાહેર જનતા માટે બંધ છે, પરંતુ 9 મહિના વીતી જવા છતાં સુરત મહાનગરપાલિકા હજુ એ નક્કી નથી કરી શકી કે બિલ્ડિંગને રિપેર કરવું કે તોડીને નવું બનાવવું. ઐતિહાસિક ઈમારતો મજબૂત, આધુનિક બાંધકામ નબળું કેમ?સુરતની શાન ગણાતી મુગલીસરા કચેરી જે મુઘલકાળમાં બનેલી છે, તે આજે પણ અડીખમ ઉભી છે. તેની સામે માત્ર 11 વર્ષ પહેલાં અંદાજે 17 કરોડના ખર્ચે બનેલા એક્વેરિયમના બીમ અને કોલમ નબળા પડી જતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, ઈમારતના પિલર ક્ષતિગ્રસ્ત છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આ રિપોર્ટના આધારે જનતાની સલામતી માટે દરવાજા બંધ તો કરી દેવાયા. ખર્ચ ચાલુ, પણ એક્સેસ બંધ, જનતાના ટેક્સના પૈસાનો વેડફાટનવાઈની વાત એ છે કે, એક્વેરિયમ અંદરથી બંધ છે અને મુલાકાતીઓ માટે પ્રવેશબંધી છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન મેઈન્ટેનન્સ અને માછલીઓની દેખરેખ માટેના કોન્ટ્રાક્ટ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવ્યા છે. એક્વેરિયમના મુખ્ય ગેટ પર 'મેઈન્ટેનન્સ કામગીરી ચાલુ હોવાથી બંધ છે' તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર રિપેરિંગ માટેના કોઈ ટેન્ડર પણ હજુ સુધી બહાર પાડવામાં આવ્યા નથી. મુલાકાતીઓ દૂર-દૂરથી આવે છે અને નિરાશ થઈને પરત ફરે છે. ખાસ કરીને વેકેશનના સમયમાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ શૈક્ષણિક કેન્દ્ર હતું, જે હવે માત્ર એક બંધ ડબ્બા સમાન બની ગયું છે. ટૂંક સમયમાં અમે નક્કર નિર્ણય લઈશુંઃ મેયરસુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, અમે હાલ એ વિચારણા કરી રહ્યા છીએ કે આ એક્વેરિયમને રિપેર કરવાથી તે લાંબો સમય ચાલશે કે પછી તેને નવેસરથી બનાવવું હિતાવહ રહેશે. આ ટેકનિકલ નિર્ણયમાં સમય લાગી રહ્યો છે. જોકે, અંદર રહેલી માછલીઓની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં અમે નક્કર નિર્ણય લઈને આ સુવિધા ફરી શરૂ કરીશું.
ધોલેરા હાઈવે પર અકસ્માત:મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવાએ બાઈકને ટક્કર મારતા એકનું મોત, એક ગંભીર
ભાવનગર-અમદાવાદ રોડ પર ધોલેરા હાઈવે પર ગઈકાલે સાંજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસારગઈકાલે સાંજે આશરે 4:30 કલાકે અબ્દુલ રજ્જાકબીન મહમદભાઈ આરબ તથા અબ્દુલ સમદબીન હસનભાઈ યમની બંને સફેદ કલરની એક્સેસ ગાડી લઈને ધોલેરા જઈ રહ્યા હતા, ત્યારે ધોલેરા હાઈવે સર્કલ પાસે વળાંક લેતી વખતે સામેથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની સફેદ રંગની ઇનોવા ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી,અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અબ્દુલ રજ્જાકબીનને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અબ્દુલ સમદબીનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યાં સર ટી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અબ્દુલ સમદબીન હસનભાઈ ઉ.મ.60 નું અવસાન થયું હતું. જ્યારે બીજા ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ હાલ સર ટી હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે, આ ઘટના અંગે મૃતકના પુત્રએ માહિતી આપી હતી. પોલીસે આ મામલે મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે. જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભણેલા-ગણેલા છોકરાઓ નોકરી વિહોણા: MLAદાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા થતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે. અનેક રજૂઆતો કરી પણ કોઇ નિવારણ ન આવ્યું: આગેવાનઆદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરે કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ સરકારે આજ દિન સુધી કોઈ સુખદ નિરાકરણ લાવ્યું નથી. ત્રણ વર્ષથી મહેનત કરીને પરીક્ષા પાસ કરનાર યુવાનોની સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે. 'અધિકારીઓ નાની-મોટી ભૂલો કાઢીને હેરાન કરે છે'ઈશ્વરભાઈ ડામોરે વધુમાં જણાવ્યું કે, વિશ્લેષણ સમિતિના અધિકારીઓ વિદ્યાર્થીઓને નોકરી ન મળે તે માટે નાની-મોટી શાબ્દિક ભૂલો કાઢી દાખલાઓ રદ કરી રહ્યા છે, જે નિંદનીય છે. તેમને લાગે છે કે તંત્ર અને સમિતિના અધિકારીઓ યુવાનોને સરકારી નોકરી ન મળે તે દિશામાં કામ કરી રહ્યા છે. વારંવાર આવેદનો આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, આજે સમગ્ર વિસ્તારના આગેવાનો અને યુવાનો સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્યાનું વહેલીતકે સમાધાન થાય એવી માંગ ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું કે અમારી મુખ્ય માંગણીઓમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને જાતિના દાખલા મળે, તેમજ સરકારી નોકરી મેળવી ચૂકેલા યુવાનોના અટકાવેલા ઓર્ડરો તાત્કાલિક આપવામાં આવે અને આ સમસ્યાનું વહેલીતકે સમાધાન થાય એવી અમારી માંગ છે. બ્લોગમાં વાંચો પળેપળની અપડેટ્સ...
વડોદરા શહેરમાં વર્ષના અંતમાં જાણે અકસ્માતની હોડ લાગી હોય તેમ એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પંડ્યા બ્રિજ નીચે વળાંકમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ચાલક વળાંક લેતો હોય તે વખત દરિમયાન ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી આવતો બાઇક ચાલક બસના આગળના ભાગે ધડાકાભેર ટકરાય હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકો ઘટના સ્થળે ગંભીર ઇજાઓને લઈ તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જેમાં એક યુવક જે બાઇક ચલાવતો હતો તે ઉર્પિત પઢિયારનું ગંભીર ઇજાઓને લઈ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બસ વળાંક મારતી હતીને બાઈક ધડાકાભેર ટકરાઈઅકસ્માતના બનાવમાં બાઇક પર સવાર ત્રણે યુવકોને ઇજાઓ પહોંચે છે. તમામને સયાજી હોસ્પિટલમાં સારવાર મત ખસેડવામાં આવે છે. જેમાંથી એક યુવક અર્પિત મહેશભાઈ પઢીયાર (ઉં.વ. 20 ધંધો નોકરી, રહે.માધવનગર દશરથ ગામ વડોદરા)નું સારવાર દરમ્યાન મોત નીપજે છે. યુવક એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાને પેરાલિસિસ છે અને ભાઈ નાનો છે. આ યુવક એકમાત્ર પરિવારમાં કમાનાર દીકરો હતો. એકનું મોત, બેને ઈજાઆ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય બે યુવકો ભૌમિક રમણભાઈ રોહિત (ઉં.વ. 24 રહે.દશરથગામ) અને વિશાલ કરસનભાઈ તડવી (ઉ.વ. 17, રહે. દશરથ ગામ વડોદરા)ને ઇજાઓ પહોંચતા તેઓની હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર બસને કબજે લીધી છે. આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલ પર મેસેજ કરતો અકસ્માત સર્જાયોફતેગંજ પોલીસે ઇજાગ્રસ્ત વિશાલ તડવીએ નોંધાવેલ ફરિયાદ મુજબ યુવક સાથે તેઓ ચાની રોડથી પંડ્યા બ્રિજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ યુવક ચાલુ ગાડી પર મોબાઈલ પર મેસેજ કરતો હતો. આગળ જતા જ પંડ્યા બ્રિજ પાસે બસ ટન મારતા બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલ તડવી અને તેનો મિત્ર ભૌમિક રોહિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે બાઇક ચાલક ઉર્પિત પઢિયારનું ગંભીર ઇજાઓને લઈ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હાલમાં ફતેગંજ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુ જવેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેશિયર દ્વારા ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જવેલર્સના નામના ખોટા વાઉચર બનાવ્યા હતા જ મળી કુલ 1.99 કરોડની છેતરપિંડી આચરી હોવાની જાણ થતા શોરૂમના માલિકે કેશિયર સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કેશિયર હિતેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ પરમાર સામે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતાં અને મવડી રોડ ઉપર, નાના મૌવા રોડ ઉપર તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતા મનીષભાઇ નથુભાઇ ઘાડીયા (ઉ.વ.40)એ મૂળ આણંદ જિલ્લાના બોરસદના વતની અને હાલ બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ, વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નં.3માં રહેતા અને નાનામવા રોડ ઉપર આવેલી તેમની બ્રાન્ચમાં કેશિયર તરીકે નોકરી કરતા હિતેષ શૈલેષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હિતેશ પરમાર કેશિયર તરીકે ફરજ બજાવતો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાના મૌવા રોડ ઉપર આવેલા તેઓના અર્જુન જવેલર્સ શો રૂમમાં હિતેષ પરમારને ગઈ તા.12.08.2022થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. તે શો રૂમમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી નોકરી પર ચાલુ રહેતા શો રૂમના નિયમ મુજબ અનુભવના આધારે કેશીયરના હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગઈ તા.26.12.2024થી હિતેષ પરમારને મવડી રોડ ઉપર આવેલ અર્જુન જવેલર્સમાં કેશીયર હેડ તરીકે બદલી કરી હતી. કંપનીના મોબાઇલમાંથી ડાયરેક્ટ કસ્ટમરોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. તા.17.07.2025ના રોજ જામનગરમાં આવેલ અર્જુન જવેલર્સમાં હિતેષ પરમારને ડેપ્યુટેશન પર ત્યાં કેશીયર તરીકે રાખી સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજકોટથી તા.05.08.2025થી નોકરીમાંથી છુટા કર્યા હતા. ખોટું વાઉચર બનાવીને આપ્યું છુટો કર્યાના અઠવાડીયા બાદ તા.12.08.2025ના એક ગ્રાહક ઇશાબેન સોરઠીયા મવડી ખાતે આવેલ અર્જુન જવેલર્સના શો રૂમ ખાતે આવી જણાવ્યું કે, મે હિતેષ પરમારને ડિસેમ્બર 2024થી તા.20.05.2025 સુધીમાં કટકે કટકે રૂ.45.40 લાખ સોનાના બિસ્કીટ લેવા પેટે ડીપોઝીટ તરીકે જમા કરાવ્યા છે. હિતેષે મને કહ્યું કે, છ માસની સ્કીમ મુજબ તમને 6 સોનાના બિસ્કીટ 400 તથા 200 મળી કુલ 600 ગ્રામ 6 મહિના બાદ મળશે અને આ માટે મને એક ઓર્ડર વાઉચર ફોર્મ આપ્યું છે જેમાં રિમાર્કસમાં 600 ગ્રામ સોનુ જમા છે તેવો ઉલ્લેખ વાળું ઓર્ડર વાઉચર આપ્યું છે. 21 દિવસમાં 1 કરોડ રોકડા જમા કરાવ્યા હતા ફરીયાદીએ તે વાઉચર લઇ સિસ્ટમમાં ચેક કરતા ઇશાબેન સોરઠીયાના રૂ.45.60 લાખ જમા થયા ન હતા, જેથી ઇશાબેન સોરઠીયાએ જે સોનાનો ઓર્ડર આપ્યો અને તેના બદલામાં શો-રૂમનુ વાઉચર હિતેષ પરમારે આપેલ તે ખોટુ ઉભુ કરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું હતુ. આ પછી તે જ દિવસે બીજા એક ગ્રાહક અંકીતાબેન રૈયાણી શો-રૂમ ખાતે આવી હિતેષ પરમારને તા.23.10.2024ના સોનાના દાગીના ખરીદવા પેટે રૂ.20 લાખ રોકડા તથા તા.07.05.2025થી તા.28.05.2025 સુધીમાં અલગ અલગ તારીખે રોકડા રૂપિયા એક કરોડ જમા કરાવ્યા છે અને આ હિતેષભાઈએ 500 ગ્રામ સોનુ આપ્યું છે અને તેની પાસેથી 450 ગ્રામ સોનુ લેવાનુ બાકી છે જે બાબતનુ અર્જુન જ્વેલર્સ નામનુ વાઉચર બનાવી આપ્યું છે, જે અસલ વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની તારીખ સાથેની સહી હતી. જેથી તે બાબતે જવેલર્સના સિસ્ટમમાં ચેક કરતા તે પણ હિતેષ પરમાર દ્વારા ખોટુ વાઉચર ઉભુ કરેલ હોવાનુ જાણવા મળ્યું હતુ. શો-રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતા તા.21.05.2025ના સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન હિતેષ પરમાર શો રૂમમાંથી 450 ગ્રામના સોનાના બિસ્કીટનું પાઉચ જેમાં 100 ગ્રામના 4 તથા 50 ગ્રામનુ 1 તેના પેન્ટના ખિસ્સામાં મુકીને લઈ જતો જોવા મળ્યો હતો. તે શો-રૂમમાંથી સોનુ લઇ ગયો છે પરંતુ અંકીતાબેનને આપ્યું નથી. ગ્રાહકના રૂપિયા જમા ન કરાવ્યા ઓગષ્ટ 2025માં ગ્રાહક ચીરાગભાઈ વલ્લભભાઈ ખુંટ શો રૂમ ખાતે આવી અને વાત કરી કે, હુ તથા મારા બહેન જીગ્નાબેન ગઇ તા. 29.01.2025ના શો રૂમ ખાતે આવી અને સોનાનુ બિસ્કીટ ખરીદવુ હોય હું અને મારા બહેન જીગ્નાબેન હિતેષભાઇને મળી વાતચીત કરી રોકડા રૂ.1 લાખ સોનાના બિસ્કીટ પેટે જમા કરાવ્યા તે બાબતે મારા બહેન જીગ્નાબેનના નામે રૂ.1 લાખનું એક વાઉચર બનાવી આપેલ તેમજ તા.31.03.2025ના શોરૂમ પર મારા બહેન જીગ્નાબેન એકલા ગયા હતા હિતેષભાઈ પાસે રૂ.60 હજાર જમા કરાવતા રિસીપટ બનાવી બહેનને બીજી એક રિસીપટ આપી જેમાં રૂ.1.60 લાખ જમા લીધેલનું લખી આપ્યું હતું. અસલ પેમેન્ટ રિસીપ્ટ બતાવતા હિતેષ પરમારની સહી હતી જેથી સિસ્ટમમાં ચેક કરતા ચીરાગભાઈના રૂ.60 હજાર જ જમા થયાનું જાણવા મળ્યું હતું. અમુક દિવસો બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે હિતેષ પરમારે તા.21.04.2025ના મવડીના શો રૂમ ખાતે પોતાના આઇડીમાંથી કસ્ટમર ચીરાગભાઈ ખુંટના નામે રૂ.1,99,800નુ સોનાની ગીની વજન 20 ગ્રામનુ બીલ બનાવી દીધું છે. ત્યારે કસ્ટમર ચીરાગભાઇ શો રૂમની અંદર હાજર નથી અને હિતેષ આ 20 ગ્રામ સોનાની ગીની ખિસ્સામાં નાખી લઇ જતા જોવા મળે છે અને ખોટુ વાઉચર બનાવી રૂ.1,99,800નુ સિસ્ટમમાં ચીરાગભાઇને 20 ગ્રામ સોનાની ગીની આપેલ ન હોવા છતા ખોટુ બીલ બનાવ્યું છે. સોનાનો ભાવ ડાઉન થાય એટલે તમારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ બુક કરીશ 10 દિવસ પહેલા શો રૂમ પર કસ્ટમર વિમલભાઈ ધીરૂભાઈ ખુંટ આવ્યા અને કહ્યું કે, ગઈ તા.04.12.2024ના હું તમારા નાના મૌવાના શો રૂમ ખાતે ગયો અને હિતેષ પરમારને મળી 100 ગ્રામનુ સોનાનુ બિસ્કીટ લેવાનુ હોય જેથી હિતેષ પરમારે મને એક સ્કીમ કહી કે, તમે અત્યારે રૂ.7.50 લાખ જમા કરાવો સોનાનો ભાવ ડાઉન થાય એટલે તમારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ બુક કરી દઇશ, તેમ વાત કરતા તેને રૂ.7.50 લાખ જમા કરાવેલ હતા. ત્યારબાદ હિતેષ પરમારના કહેવાથી રૂ.20 હજાર જમા કરાવ્યા હતા તે દિવસે શો રૂમમાં ચાલતી સ્કીમ સમજાવી જણાવ્યું કે, આજે 100 ગ્રામ સોનુ જમા રાખો તો તમને છ મહિના પછી 104 પોઇન્ટ 8 ગ્રામ સોનુ મળશે, જેથી તે સ્કીમ સારી લાગતા હિતેષ પરમાર પાસે મારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ જમા રાખી અને તા.14.05.2025ના આ પેટે તેમણે અર્જુન જ્વેલર્સનું વાઉચર બનાવી આપ્યું હતું. જેમાં બંનેએ સહી કરી હતી. જે વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની સહી હોય સિસ્ટમમાં તે વાઉચરની ખરાઈ કરતા આ વાઉચરમાં જણાવેલ રૂ.7.70 લાખ શો રૂમના એકાઉન્ટમાં જમા થયેલ ન હોવા છતા હિતેષ પરમારે ખોટુ વાઉચર બનાવી વિમલભાઈ ખુંટને સાચા તરીકે આપેલ હોવાનુ જાણવા મળ્યું હતું. કુલ 1.99 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ આ હિતેષ પરમારે શો રૂમના નામે ઘણા કસ્ટમરોને બનાવટી વાઉચરો બનાવી આપ્યા હોવાનું જાણવા મળતા મવડી શો રૂમના ઉપલબ્ધ સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું કે, હિતેષ પરમારે અર્જુન જવેલર્સમાં કસ્ટમરોના જમા રૂપિયાના ખોટા વાઉચર બનાવી કસ્ટમરોની તથા જ્વેલર્સની જાણ બહાર સોનાની ઉચાપત કરી પોતાના ખિસ્સામાં નાખી શો રૂમની બહાર લઈ જતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા છે. ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી તેઓની પાસેથી રોકડા રૂ.1,74,10,000 મેળવી જવેલર્સના નામે ખોટા અને બનાવટી વાઉચરો તથા બીલો બનાવી સાચા તરીકે આપી તેમજ શો રૂમમાંથી અલગ અલગ સમયે સોનાની ગીની, દાગીના મળી કુલ 265 ગ્રામ સોનુ રૂ.25,57,800ના ખોટા વાઉચર, બીલો બનાવી દાગીના લઇ જઇ કુલ રૂ.1,99,67,800ની ઉચાપત કરી વિશ્વાસઘાત કરતા ફરીયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં ફરી એકવાર ગૌવંશના શંકાસ્પદ મોતે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. કેશોદના ફાગળી ગામના વાડી વિસ્તારમાં આવેલી જૂની ડમ્પિંગ સાઇટ પાસે એકસાથે 7 જેટલા ગૌવંશના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગૌરક્ષકોએ આશંકા વ્યક્ત કરી છે કે અજાણ્યા શખ્સો દ્વારા ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. પતંગ લેવા ગયેલા બાળકોએ જોયા મૃતદેહ ઘટનાની વિગતો મુજબ, મકરસંક્રાંતિ નજીક હોવાથી ફાગળી ગામના વાડી વિસ્તારમાં બાળકો પતંગ ચગાવવા ગયા હતા. આ દરમિયાન એક બાળકની પતંગ બાવળમાં ફસાઈ જતા તેને લેવા ગયેલા બાળકોએ ત્યાં ગૌવંશના મૃતદેહ જોયા હતા. બાળકોએ આ અંગે ગ્રામજનોને જાણ કરતા ફાગળી ગામના સરપંચ ભગવાનજીભાઈ દેવધરીયા અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દ્રશ્યો જોઈ ચોંકી ઉઠેલા સરપંચે તુરંત ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પશુ ડોક્ટરોનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતા જોતા કેશોદ પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પંચ રોજકામની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌમાતા, ધણખૂટ સહિતના 7 પશુઓના મોત પાછળ કોઈ ઝેરી પદાર્થ હોવાની શંકા દ્રઢ જણાતા પશુ ડોક્ટરોએ સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કર્યું હતું. મોતના ચોક્કસ કારણો જાણવા માટે પશુઓના વિસેરા લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે એફએસએલ માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ 11 ગૌવંશના મોત થયા હતા: ગૌરક્ષકોમાં રોષ ગૌરક્ષક દળના સભ્ય નીરવ લશ્કરીએ જણાવ્યું હતું કે, કેશોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વારંવાર રખડતા ગૌવંશને ઝેરી પદાર્થ ખવડાવી મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ વેરાવળ રોડ પર પણ ખોરાકમાં ઝેરી અસરને કારણે 11 થી વધુ ગૌધનના મોત થયા હતા, પરંતુ આજદિન સુધી તે મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આજે ફરી ફાગળીની સીમમાં આ પ્રકારની ઘટના બનતા હિન્દુ સંગઠનો અને ગૌભક્તોમાં ભારે આક્રોશ છે. ગૌરક્ષકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શ્વાનનો ત્રાસ અને વેક્સિનેશનની માંગ આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ રખડતા શ્વાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મૃત પશુઓનો ખોરાક કરતા શ્વાન હડકવા ફેલાવે છે, જેનાથી લોકોના સ્વાસ્થ્યને જોખમ ઊભું થાય છે. કેશોદની સ્ટાર સિટી અને જોલી વિસ્તારના રહીશોએ પાલિકા ચીફ ઓફિસર પાસે શ્વાન પકડવાની માંગ કરી હતી, જેના જવાબમાં ચીફ ઓફિસરે એક અઠવાડિયામાં કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.હાલમાં પોલીસે ગૌરક્ષકોની અરજી લઈ તપાસ તેજ કરી છે. PM રિપોર્ટ અને FSL રિપોર્ટ આવ્યા બાદ ગૌવંશના મોતના રહસ્ય પરથી પડદો ઉઠશે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઇવે પર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી ગઈ હતી. જોધપુરથી ગોવા જઈ રહેલી આ બસના અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી હતી. આ ઘટના રાત્રીના સમયે બની હતી. 4-5 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચીબસમાં સવાર ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતા જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેઓની માંગણી છે કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરની છત છીનવવામાં ન આવે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 10 જાન્યુઆરીના આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. અમારું ઘર છીનવાઈ જશે તો અમે રહેવા ક્યાં જઈશું- ઉમર સોરાજંગલેશ્વર શેરી નંબર - 30 માં રહેતા ઉમર સોરાએ જણાવ્યું હતું કે, અમે અહીં પરિવાર સાથે રહીએ છીએ. જેમાં વર્ષ 1976 પહેલાના લાઈટ બિલ અને વેરા બિલ છે. આજી રિવરફ્રન્ટ બનાવવા માટે ડિમોલિશન કરવું એ યોગ્ય નથી. અમારા ઘર પરથી છત છીનવાય તો અમે રહેવા માટે ક્યાં જશું? જેથી અમને જંત્રી મુજબ મકાન કાયમી કરાવી આપવામાં આવે અથવા આવાસ ફાળવણી કરવામાં આવે. PM મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેઓને અમે રજૂઆત કરવા જઈશું-સ્થાનિકતેમણે જણાવ્યું કે અમે અહીં 15 જેટલા લોકો રહીએ છીએ. જેથી અમને ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા અમારા પક્ષમાં રી જાહેર સભા કરવામાં આવી હતી અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા અમને ન્યાય અપાવવામાં આવશે. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે ત્યારે તેમને રજૂઆત કરવા માટે પણ અમે જશું. આજે 590 દબાણકર્તાઓને હિયરિંગ માટે બોલાવાયારાજકોટ પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યું હતું કે, 1350 લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી પ્રથમ દિવસે 590 લોકોને હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં જે લોકો ગેરહાજર રહેશે તેઓને ત્રણ તક આપવામાં આવશે અને ત્યારબાદ કલમ 202 મુજબ ડિમોલિશન માટેની ફાઈનલ નોટિસ આપવામાં આવશે. બીજા દિવસે 540 અને ત્રીજા દિવસે 260 મિલકત ધારો કોને બોલાવવામાં આવ્યા છે. જેમના દ્વારા લાઈટ બિલ અને વેરાબીલ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેની તપાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વલસાડમાં કચરા પ્રોસેસિંગ સાઇટનો વિરોધ:ખેડૂતોએ ઓવાડાને બદલે વૈકલ્પિક જગ્યાની માંગ કરી
વલસાડ નગરપાલિકા દ્વારા ઓવાડા ગામે સૂચિત નવી કચરા પ્રોસેસિંગ સાઇટનો સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો આ પ્રોજેક્ટથી ખેતી અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે, અને વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે ઓવાડા વિસ્તારમાં 90%થી વધુ ખેડૂતો વસે છે, જેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત ખેતી છે. ડમ્પિંગ સાઇટ આવવાથી ફળદ્રુપ જમીન બિનઉપયોગી બની જશે અને ખેડૂતો પાયમાલ થશે તેવી આશંકા છે. છેલ્લા 10 વર્ષમાં નંદાવલા અને પાલી હિલ જેવા વિસ્તારોમાં આવા પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા બાદ હવે તંત્ર ઓવાડા તરફ વળ્યું છે, જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ વહીવટી તંત્રને કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. તેમણે નદીથી 500 મીટર દૂર એવી જગ્યા પસંદ કરવાની ભલામણ કરી છે જ્યાં જમીન ઓછી ફળદ્રુપ હોય. આ ઉપરાંત, 2001માં શરૂ કરાયેલ 'ટોમેટ' પદ્ધતિ ફરી અમલમાં લાવવી જોઈએ, જે રોજના 25 ટન કચરાનો નિકાલ કરી શકે છે. બે આવા પ્લાન્ટ વલસાડના 50 ટન કચરા માટે પર્યાપ્ત હોવાનું તેમનું કહેવું છે. આગેવાનોએ આર્થિક પાસાઓ પર પણ ધ્યાન દોર્યું છે. ઓવાડા શહેરથી 16-18 કિમી દૂર હોવાથી વાર્ષિક અંદાજે ₹3.5 કરોડનો વધારાનો ડીઝલ અને પરિવહન ખર્ચ થશે. આ ખર્ચ નગરપાલિકાની તિજોરી પર ભાર વધારશે. આગેવાનોએ જણાવ્યું હતું કે, વલસાડમાં નગરપાલિકાથી લઈને કેન્દ્ર સરકાર સુધી એક જ પક્ષનું શાસન છે અને શહેરી વિકાસ મંત્રી પણ આ જ જિલ્લાના છે. આથી, આ પ્રશ્નનો ગંભીરતાથી વિચાર કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સમાં લાંબો વિલંબ નોંધાયો છે. જેને કારણે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવાઈ સેવાઓ પર ભારે અસર જોવા મળી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 8 ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને 13 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે મુસાફરો ભારે પરેશાન થયા હતા. અરાઇવલ કેન્સલ ફ્લાઇટ 1-રાયપુરથી અમદાવાદ આવતી 6E 645 2-દિલ્હી થી આવતી 6E 163 3-અમૃતસર થી અમદાવાદ આવતી 6E 127 4-એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી AI 2959 5-અરાઇવલ ડીલે ફ્લાઇટ 6-થાઈ વાઇટજેટ બેન્કોકથી અમદાવાદ આવતી VZ 750 7-સ્ટાર એરની પૂર્ણિયાથી અમદાવાદ આવતી S5 619 8-સ્પાઇસજેટ ની કોલકતા થી અમદાવાદ આવતી SG 494 9-સ્પાઇસજેટ ની દિલ્હી થી અમદાવાદ આવતી SG 877 10-એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લોર થી અમદાવાદ આવતી IX 2013 11-એર ઇન્ડિયા એક્સપ્રેસની ગોવા થી અમદાવાદ આવતી IX 2143 12-ઈન્ડિગો ની દેહરાદૂન થી અમદાવાદ આવતી 6E 569 13-ઈન્ડિગો ની કુવૈત સિટીથી અમદાવાદ આવતી 6E 1244 14-અકાસા એર ની મુંબઈ થી અમદાવાદ આવતી QP 1781 ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ 1-ઈન્ડિગો ની અમદાવાદ થી રાયપુર જતી 6E 261 2-ઈન્ડિગો ની અમદાવાદ થી દુર્ગાપુર જતી 6E 6731 3-ઈન્ડિગોની અમદાવાદ થી અમૃતસર જતી 6E 106 4-એર ઇન્ડિયાની અમદાવાદ થી દિલ્હી જતી AI 2946 ડિપાર્ચર ડીલે ફ્લાઇટ1-થાઈ વાઇટજેટની અમદાવાદ થી બેન્કોક જતી VZ 751 2-સ્પાઇસજેટની અમદાવાદ થી દુબઇ જતી SG 015 3-સ્પાઇસજેટની અમદાવાદ થી કોલકાતા જતી SG 491 4-ઈન્ડિગો ની અમદાવાદ થી જેદ્દાહ જતી 6E 075 આ અંગે ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે, આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે. તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટીબીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.
જામનગરમાં હિન્દુ સેનાએ બાંગ્લાદેશનો ઝંડો કચડ્યો:હિન્દુઓ પર અત્યાચાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન
જામનગરમાં હિન્દુ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા પુલ અને સુભાષ બ્રિજ ચાર રસ્તા પર બાંગ્લાદેશનો ઝંડો રસ્તા પર બનાવી તેના પર ચાલીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન હિન્દુ સેનાના કાર્યકરોએ બાંગ્લાદેશના ઝંડા પર ચાલીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સૂત્રોચ્ચાર કરીને સરકારને બાંગ્લાદેશના હિન્દુઓની ગંભીર પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન આપવા અને તેમને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને હત્યાઓને ગંભીરતાથી લે. તેમણે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવીને હિન્દુ સમુદાયને સુરક્ષા પૂરી પાડવાની પણ માંગ કરી હતી. આ પ્રદર્શન હિન્દુ સેના શહેર યુવા પાંખના પ્રમુખ સાગર ચૌહાણની આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, પ્રમુખ હર્ષ ભાનુશાળી, પૂર્ણકાલીન કિશન નંદા, મંથન અઘેરા, દીપ ચાંદલીયા સહિત અનેક સૈનિકો જોડાયા હતા.

25 C