SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

કાળિયાર અભયારણ્યમાં પ્રવાસીઓનો ઘસારો:કાળિયાર અભયારણ્યમાં દિવાળી અને નવેમ્બરમાં 2941 પ્રવાસી ઉમટ્યા

વલભીપુર નજીક આવેલા નેશનલ બ્લેકબક (કાળીયાર હરણ) અભયારણ્ય ખાતે દિવાળીના તહેવારો તેમજ નવેમ્બર માસ દરમ્યાન સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓને લઇ પ્રતિ વર્ષ સહેલાણીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. અભયારણ્યની આસપાસના ગામો વેળાવદર,ગાંગાવડ, અધેલાઈ, ભડભીડ અને કાનાતળાવ સુધી વિસ્તરેલ હોય સહેલાણીઓ દુર સુધી જઇને કાળીયાર હરણોના ઝુંડને જોઈ આનંદ અનુભવે છે. આ પ્રવાસન સ્થળે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન 2842 પ્રવાસીઓ રાજ્ય અને આંતર રાજ્યના તેમજ 99 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 2941 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તેમ RFO ડી.જી.ગઢવી એ જણાવ્યુ હતું. જો આ અભ્યારણ્યમાં અન્ય પ્રાણીઓને જો સ્થળાંતર કરાવી અહિંયા સ્થાયી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આ પર્યટક સ્થળ વધુ વિકાસ પામે તેમ છે

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:59 am

ગાંજો ઝડપાયો:મહુવાના છાપરી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો

મહુવાના છાપરી ગામે રહેતા એક ખેડૂતે કપાસની આડમાં અલગ અલગ ચાસમાં લીલા ગાંજાની વાવણી કરી હોય તે બાતમીના આધારે બગદાણા પોલીસે છાપરી ગામના વાડી વિસ્તાર માંગાધાર નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. જા કપાસના વાવેતરમાં તપાસ દરમિયાન અલગ અલગ ચાસ માંથી કુલ 50 લીલા ગાંજાના એક ફૂટ થી સાડા ચાર ફૂટ ઊંચાઈના કિં. 51,700 ના છોડ મળી આવતા ખેડૂતની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાપરી ગામે રહેતા કનુભાઈ અરજણભાઈ ગોહિલ ઉં. 64 રહે. સડતર વાડી વિસ્તાર, છાપરી ગામે વાડીમાં કપાસ ની આડમાં અલગ અલગ ચાસમાં લીલા ગાંજા ના વાવેતરની બાતમી મળતા બગદાણા પોલીસે કનુભાઈ ની વાડીમાં દરોડા પાડ્યા હતા. તે વાડીમાં જ આવેલા મકાન થી 100 ફૂટ જેટલા અંતરે કપાસના વાવેતરમાં દરોડા દરમિયાન વાવેતર વચ્ચેથી કનુભાઈ અરજણભાઈ ગોહિલ મળી આવેલ જ્યાં તપાસ કરતા કપાસના વાવેતરમાં ચાસ નં.6 માંથી 12 છોડ, ચાસ નં.7 માંથી 17 છોડ અને ચાસ નં.8 માંથી 21 છોડ જેની ઊંચાઈ એક ફૂટ થી સાડા ચાર ફૂટ ના કુલ 50 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જ્યાં એફ.એસ.એલની ટીમે ગાંજાનું વજન કરતા 1 કિલો 34 ગ્રામ કિં. 51,700 કરી મુદ્દા માલ જપ્ત કરી માટીના સેમ્પલ લીધા હતા અને ખેડૂત સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂત કનુભાઈ અરજણભાઈ ગોહિલ ની વધુ પૂછપરછ કરતા આ છોડ તેને જાંબુડા કટીંગ ખાતે આવેલા આશ્રમમાં સાધુ સંતોની સેવા પૂજા કરવા માટે વાવ્યા હોય તેવું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી મુદ્દા માલ જપ્ત કર્યો હતો. મહુવા અને તળાજામાં ગાંજાનું દૂષણ વધ્યુંત્રણ દિવસ પહેલા જ મહુવાના દયાળ ગામે વૃદ્ધ ખેડૂતે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતા પોલીસે ઝડપી પાડ્યો હતો અને મહુવા તળાજા પંથકમાં લીલા અને સૂકા ગાંજા નું વેચાણ એક દૂષણ બન્યું છે જ્યાં પોલીસે ભૂતકાળમાં અનેક વખત ગાંજાના વાવેતર ઝડપી પાડેલા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:59 am

આરોપીને છાવરવાના મામલે મહિલા કર્મચારીને નોટિસ ફટકારશે:એટ્રોસિટીના આરોપીને છાવરનાર મહિલા પોલીસ કર્મચારી ફરાર થઈ

ભાવનગરના લાખણકા ગામના દલિત ઉપસરપંચને જ્ઞાતિથી અપમાનિત કરી ગાળો આપી ગંભીર માર મારવાના ગુના મામલે પોલીસ મથકમાં ચાર આરોપી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસિટીના એક આરોપીને ઘરે આશરો આપનાર ભરતનગરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ની સંડોવણી ખોલવા પામી હતી જેમાં પોલીસ આ બંને મહિલા આરોપીની અટક કરી જમીન ઉપર છુટકારો કરવામાં આવ્યો હતો. હાલ આ ભરતનગર મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાતા મહિલા પોલીસ કર્મી ફરાર થઈ ગઇ છે. ભાવનગર જિલ્લાના તળાજાના દેવલી ગામે રહેતો એટ્રોસીટી નો આરોપી પાર્થ ધાંધલ્યા અને એન્ટિહુમન વિભાગમાં ઉષા જાની ને ઘરમાં આશરો આપવા મામલે ભરત નગર પોલીસ મથકની કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ની અટક કરવા માં આવી હતી. જે દરમિયાન નયના બારૈયા એ ઉચ્ચ અધિકારી ને ધમકી આપી હતી અને પોલીસ એ ઘરમાં ઝડતી કરતા દારૂની બોટલો મળી આવતા જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે ડીવાય એસ પી રીમાબેન ઝાલા એ જણાવ્યું હતું કે, એટ્રોસીટીના આરોપીને છાવરવા મામલે આરોપી નયના બારૈયા વિરુદ્ધ એટ્રોસીટી મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ મામલે આરોપી નયના ને નોટિસ પણ આપવામાં આવશે. જોકે આરોપી નયના બારૈયા ફરાર થઈ ગઇ હોય અને સિહોરના દેવગણા ગામે કારમાં ફરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ રીતે ફરાર હોવા છતા તેની ભાળ અમુક લોકોને છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:57 am

સગીરાની શોધખોળ શરૂ કરાઈ:મહુવામાં મજૂરી કરવા જતી સગીરાને સાથે કામ કરતો શખ્સ ભગાડી ગયો

મહુવા ખાતે મજૂરીનું કામ કરવા જતી એક સગીરાને ત્યાં જ કામ કરતો ધર્મેશ નામનો યુવક બહોળા સમયથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતો હતો, જેને સગીરાની બહેનોએ અનેક વખત મનાઈ કરી હતી. સગીરાને યુવક ભગાડી લઈ ગયો હોવાનું પરિવારે બે દિવસની જહેમતભરી શોધખોળ બાદ મહુવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. મહુવા વિસ્તારમાં મજૂરી કામ કરતી એક સગીરા સાથે ત્યાં જ કામ કરતો ધર્મેશ નામનો યુવક વારંવાર વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. સગીરાની બે બહેનોએ આ યુવકને અનેક વખત સ્પષ્ટપણે વાતચીત ન કરવાની ચેતવણી આપી હતી. છતાંય યુવકનો સંપર્ક સાધવાનો પ્રયત્ન ચાલુ રહ્યો હતો. જ્યારે સગીરાની બે બહેનો રોજની જેમ કામ પર ગઈ હતી અને તેના પિતા પણ બહાર હતા. ઘરમાં માત્ર સગીરા અને તેનો નાનો ભાઈ જ હતા. લગભગ સવારે 11 વાગ્યે નાનો ભાઈ શાળાએ જવા નીકળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પરત ફરતી વેળાએ તેની બહેન ઘરમાં ક્યાંય ન દેખાતા ભાઈએ તેના પિતાને માહિતી આપી હતી જે બાદ પરિવારજનો, સગા-સંબંધીઓ અને આજુબાજુના વિસ્તારોમાં સતત બે દિવસ સગીરાની શોધખોળ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લગતા પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે સગીરાને ધર્મેશ નામનો યુવક ભગાડી ગયો હોય શકે છે, તેવી ફરિયાદ નોંધાવી હતી

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:56 am

શિપ રીસાયકલિંગ ઉદ્યોગને માઠી દશામાંથી ઉગારવાનો પ્રયાસ:શિપ રીસાયકલિંગ વ્યવસાયને વેગ આપવા E.U.ની માન્યતા માટે સરકારની આગેકૂચ

શિપ રીસાયકલિંગ ઉદ્યોગની માઠી દશામાંથી ઉગારવા માટે સરકાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગમાં હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો ઉભી કરવાની શરૂઆત 10 વર્ષ અગાઉ થઇ હતી અને વૈશ્વિક સ્તરે જુન-2025થી અમલમાં આવ્યુ હતુ ત્યારે અલંગના 90 ટકા પ્લોટ તૈયાર હતા. બીજી તરફ વિશ્વના 40 ટકા જેટલા જહાજોનો જથ્થો યુરોપીયન યુનિયનના દેશો ધરાવે છે, અને તેઓના દ્વારા રજૂ કરવામાં આવેલા નિયમોનું પાલન કરનાર દેશમાં જ ઇ.યુ. પોતાના શિપ ભંગાણાર્થે મોકલે છે, અને અલંગમાં તેનીખામી હતી. હવે સરકાર દ્વારા તે પરિપૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અલંગમાં ઇ.યુ.ની માન્યતા મળી જાય તેના માટે વધુ એક વખત સક્રિય પ્રયાસો કરી રહી છે. અલંગના 10 જેટલા અગ્રણી શિપ રીસાયકલિંગ જૂથો દ્વારા યુરોપીયન યુનિયનની માન્યતા મેળવવા માટે કામગીરી આગળ ધપાવી હતી, મોટાભાગના સ્થળોએ ઓડિટ પૂર્ણ થઇ ચૂક્યા છે. સરકાર દ્વારા યુરોપીયન યુનિયનની સાથે નિર્ણાયક તબક્કાની વાતચીત શરૂ કરવામાં આવી છે. ઇ.યુ.નો દરજ્જો પ્રાપ્ત કરાવવામાં સરકાર સમક્ષ બે બાબતો તમામ ઓડિટ રિપોર્ટમાં નકારાત્મક આવી રહી હતી, તે ઉચ્ચ ક્ષમતાના ઇન્સિનેટર-જોખમી કચરા સંચાલન સાઇટનું અપગ્રેડેશન અને હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, બંનેમાં સરકારના પ્રયત્નોથી નોંધપાત્ર પ્રગતિ થઇ છે. સરકાર હવે યુરોપીયન યુનિયન સાથે અલંગમાં જહાજો મોકલવાની દિશામાં પણ મસલતો કરી રહી છે. ભાસ્કર ઈનસાઈડશા માટે યુરોપીયન યુનિયનની માન્યતા જરૂરી?લાંબા સમયથી અલંગમાં જહાજોનો જથ્થો તમામ યાર્ડની ઉપલબ્ધતા અને ક્ષમતાની સરખામણીએ નહીંવત્ છે. યુરોપીયન યુનિયન શિપ રીસાયકલિંગ નિયમન શક્તિશાળી પ્રભાવ છે. યુરોપીયન જહાજ માલીકો દ્વારા ફક્ત ઇ.યુ. માન્યતાપ્રાપ્ત યાર્ડમાં જ પોતાના જહાજ ભંગાણાર્થે મોકલે છે. પ્રમાણમાં નફાકારક્તા ધરાવતા ઇ.યુ.ના જહાજો તેઓની આવશ્ક્તા મુજબની સવલતો, માન્યતા ધરાવતા યાર્ડમાં મોકલવામાં આવે તો અંતિમ ખરીદનારને શિપ ખરીદ કિંમતમાં પણ ફાયદો થતો હોય છે. ઉદ્યોગકારોએ સ્વખર્ચે અલંગમાં સુવિધા ઉપલબ્ધ કરીઅલંગની શરૂઆતથી અત્યાર સુધીના 43 વર્ષ દરમિયાન સતત સુધારા સ્વીકાર્યા છે. શિપ રીસાયકલિંગ વ્યવસાયને આગળ ધપાવવા માટે ઉદ્યોગકારોએ સ્વ ખર્ચે પણ સવલતો ઉપલબ્ધ બનાવી છે. જ્યારે સરકાર દ્વારા પણ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટઆંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન થાય જ છેઅલંગ યાર્ડ ખાતે છેલ્લા એક દાયકાથી જેટલા આંતરરાષ્ટ્રીય માપદંડો સૂચવવામાં આવ્યા હતા તેનું સ્પષ્ટપણે અલંગમાં પાલન થઇ રહ્યું છે. યુરોપીયન યુનિયનની જરૂરીયાત મુજબની સવલતો છે, સરકાર દ્વારા ઇ.યુ.ની માન્યતા પ્રાપ્ત કરવા માટે સકારાત્મક સહયોગ અપાઈ રહ્યો છે. > રમેશભાઈ મેંદપરા, ઉપપ્રમુખ,શિપ રિસાયકલીંગ ઈન્ડ.એસો. (ઈન્ડીયા)

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:55 am

સર્વરમાં ક્ષતિને કારણે દાખલા કાઢવામાં મુશ્કેલી:ખેડૂતોને હવે દાઝ્યા પર ડામ, ખેતીમાં નુકસાનનો માર અને સહાય મેળવવા ધક્કા

કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુનઃ બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. અને તેના ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ ખેડૂતોને પડ્યા પર પાટુ હોય તેમ એક તરફ પાકને નુકસાનીનો માર, ત્યારે બીજી તરફ સહાય મેળવવા પણ ભારે હાડમારી વેઠવી પડે છે. સર્વર પ્રોબ્લેમને કારણે મામલતદાર કચેરીમાં પણ ખેડૂતો 7/12, 8/અ ની નકલ મેળવવા ધક્કા ખાય છે. સહાય આપવી છે પરંતુ સુવિધા નથી આપતાં. સહાય ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ સર્વ કરી છે જેમાં ખેડૂતોએ 7/12, 8/અ રજૂ કરવાનું હોય છે જેના આધાર પર ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ફોર્મ આપવામાં આવે છે. પરંતુ 7/12, 8/અ ની નકલ કઢાવવા માટે પણ મામલતદાર કચેરીએ ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. મામલતદાર કચેરીએ સર્વરમાં ટેકનિકલ ખેતીને કારણે ઝડપથી ખેડૂતોના દાખલાની પ્રિન્ટ પણ નીકળતી નથી. ઘણા ખેડૂતો તો છેલ્લા બે દિવસથી ધક્કા ખાય છે. આટલું જ નહીં પરંતુ ખેડૂતો 7/12, 8/અ ની નકલ મેળવી ગ્રામ પંચાયતે ફોર્મ ભરવા જાય ત્યારે પણ તલાટી મંત્રીઓની અનિયમિતતાનો ભોગ બની રહ્યા છે. તલાટીના દાખલા વગર ફોર્મ પણ સબમિટ થતા નથી. જેથી સહાય મેળવવા માટે તંત્રની અસુવિધાથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. કપાસ ખાખ થઈ ગયો, દાખલા માટે ધક્કા17 વીઘા જમીનમાં કપાસ ઉગાડ્યો હતો પરંતુ કમોસમી વરસાદને કારણે કપાસમાં કપાસિયા ઉગી ગયા છે. આખો પાક ખાખ થઈ ગયો છે. સહાય માટે 7/12, 8/અ ની નકલ મેળવવા મામલતદાર કચેરી પણ બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. નિલેશભાઈ ધાંધલીયા, ખેડૂત ખાતેદાર સિદસર જી.આર. માં નથી છતાં વેરાનું એનઓસી માંગેબે દિવસ મામલતદાર કચેરીએ ધક્કા ખાધા બાદ 7/12, 8/અ ની નકલ મળી. ફોર્મ માટે સણોસરા પંચાયતમાં વીસીનો સંપર્ક કરતા ગ્રામ પંચાયતનું લેણું નથી તેવો તલાટી મંત્રીનો દાખલો માગ્યો છે. તલાટી મંત્રીએ પણ જી.આર. માં નહિ હોવા છતાં ગ્રામ પંચાયતનો વેરો ભર્યા બાદ જ ફોર્મ આપવામાં આવનાર હોવાનું જણાવે છે. તલાટી પણ મંગળવાર અને શુક્રવાર બે દિવસ જ આવે છે. જેથી ભારે મુશ્કેલી રહે છે. > હરપાલસિંહ જાડેજા, ખાતેદાર ગજાભાઈની વાવડી

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:51 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:જીપીસીબી ભાવનગરના કર્મચારીઓનીરંજાડ અંગે હેડ ઓફિસમાંથી તપાસ શરૂ

ભાવનગર જિલ્લાના ઉદ્યોગોમાં જીપીસીબીના કર્મચારીઓ દ્વારા જુદા જુદા બહાના તળે ઉદ્યોગકારોને હેરાન કરવામાં આવી રહ્યા હતા, અને દિવાળીમાં બોણી આપવામાં અમારૂ નામ યાદ આવતુ નથી? તેવી ગેરવ્યાજબી માંગણીઓ સાથે નિયત સરકારી કામગીરીમાં એક-યા અન્ય કારણોસર વિક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. આ રંજાડના અહેવાલ દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થયા બાદ સરકારમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, અને જીપીસીબીની ગાંધીનગર ખાતેની વડી કચેરીમાં તપાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. તેના અનુસંધાને શનિવારે એક ઉચ્ચ સ્તરીય ટુકડી દ્વારા ભાવનગર જીલ્લાના ઔદ્યોગિક એકમોની મુલાકાત લઇ માહિતી એકત્ર કરવામાં આવી હતી, ઉપરાંત ભાવનગરની જીપીસીબી કચેરીએ પણ કર્મચારીઓની પુછપરછ કરાઈ હતી. જીપીસીબી ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરની પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતિની બાબતના ઘેરા પ્રત્યાઘાત સરકારમાં પણ પડ્યા છે. ઉદ્યોગકારો દ્વારા પણ રાવ ઠાલવવામાં આવી હતી, અને સરકારના એક કદ્દાવર મંત્રીએ પણ ઉદ્યોગકારોને નડી રહેલી મુશ્કેલીઓ અંગે હેડ ઓફિસના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:49 am

સેવાનું ખાનગીકરણ:GPSથી સજ્જ FRTની 256 ટીમો થશે કાર્યરત

ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડના વર્ષ-2004માં પુનઃગઠનના બાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણમાં અલગ-અલગ છ પેટા કંપની મારફતે કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા ગુડગાંવ (હરિયાણા)ની ખાનગી એજન્સીની રૂ.272 કરોડના ત્રણ વર્ષના કરાર આધારિત નિમણુંક કરવામાં આવી હતી ત્યારે આગામી ડિસેમ્બર મહિનાથી સૌરાષ્ટ્રમાં GPSથી સજ્જ FRTની 256 ટીમો કાર્યરત થશે. PGVCLમાં ટેક્નિકલ સેવાના ખાનગીકરણ સામે ઉભા થયેલા વિરોધથી ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને ચાર મહિના સુધી અટકાવી દેવાયો હતો. વિવાદ શાંત થયા બાદ પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને આગામી આગામી ડિસેમ્બર મહિનાથી લાગુ કરવા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત PGVCLના કુલ 256 સબ ડિવિઝનમાં GPSથી સજ્જ FRTની 256 ટીમો 365 દિવસ અને 24x7 સેવા આપશે. PGVCLના પાંચ સર્કલમાં શરૂઆત કરાશેફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કામગીરીના પ્રથમ ચરણમાં ભાવનગર, રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, જામનગર અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં શરૂઆત કરાશે. હાલ આ ચાર જિલ્લામાં FRT પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ડી.વી. લાખાણી ચિફ એન્જીનીયર, PGVCL ભાવનગર ઝોનલ ઓફિસ સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડપ્રોજેક્ટમાં PGVCL છાશ ફૂંકી ફૂંકીને પીવે છેGEBના પુનઃગઠન અત્યાર સુધીમાં અવનવા ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં વીજ કંપનીઓની ટેક્નિકલ સેવાઓ અત્યાર સુધી બાકાત હતી ત્યારે સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર મેનેજમેન્ટ અને વ્હીકલ સાથેની ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમના ખાનગી કોન્ટ્રાક્ટ સામે ખુદ PGVCLના કર્મચારીઓમાં વિરોધનો સુર ઉભો થયો હતો. આ સ્થિતિમાં પહેલા કોળીએ માખ આવે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે PGVCL વડી કચેરીના તંત્રવાહકો છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે. ક્યા સર્કલમાં કેટલી FRT?

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:49 am

સન્ડે ફોટો સ્ટોરી:ચૂંટણી આવે છે....સીદસર પાસેના તળાવનું બ્યુટિફિકેશન ગતિમાં....!!!

ટૂંક સમય માં જ ભાવનગર મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની શક્યતા વચ્ચે શાસકોને વિવિધ તળાવો, સર્કલો અને અમૃત સરોવરનું બ્યુટિફિકેશન કરવાનો જાણે ઉજમ ચડ્યો છે. ( જોકે બિસ્માર અને બદતર રસ્તાઓ અને અન્ય પાયાની સમસ્યાઓ કોરાણે મૂકવામાં આવી છે ) ત્યારે ભાવનગરના સીદસર નજીક આવેલ અમૃત સરોવરનું મહાત્મા ગાંધી નરેગા ( Mgnrega) યોજના હેઠળ બ્યુટિફિકેશન કરવાની કામગીરી જોરશોરથી શરૂ છે. આશરે 1.04 એકરમાં ફેલાયેલ અને 10000 ઘન મીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવમાં હાલ કિનારાના ધોવાણને અટકાવવા સ્ટોન પિચિંગ, વોક વે અને તિરંગાની થીમ પર રેલીંગને રંગવાની કામગીરી શરૂ છે. જેનાથી ત્યાંના સ્થાનિક લોકોને ફરવા માટે અને વોકિંગ માટે એક વિકલ્પ વધશે.ત્યારે આશા રાખીએ આ તળાવની કાયાકલ્પ થયા બાદ પણ તેની સુંદરતા જાળવવા માટે પ્રજા અને શાસકો કટિબદ્ધ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:46 am

10 લાખ લૂંટવામાં બચાવ બંધુ સહિત 4 સામે ફરિયાદ:‘યે ઈલાકા સદ્દામભાઈ કા હૈ, વહે હી ભાવ તૈય કરતે હૈ, ઉનકો બતાયે બિના જમીન ખરીદતે હો’

ત્રણ વર્ષ પહેલાં જમીન ખરીદવા માટે રોકડ લઇને નીકળેલા રાંદેરના બિલ્ડર રાત્રે વરિયાવ ચેક પોસ્ટ પાસે લઘુશંકા માટે ઉભા હતા ત્યારે કારમાં આવેલા બચાવ બંધુ સહિત ચાર જણાએ ‘સદ્દામભાઇ કો બિના બતાયે જમીન ખરીદને નીકલે હો’ કહીને ચપ્પુ બતાવી રૂ.9.56 લાખ લૂંટી લીધાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કામરેજ તાલુકાના કઠોર ગામના વતની અને હાલ રાંદેર સ્થિત દિલકશ એપાર્ટમેન્ટમાં રહેતા હમઝા મોહમ્મદ યુસુફ મર્ચન્ટ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 26-6-2022ના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં હમઝા મોહમ્મદ મર્ચન્ટ અને તેનો મિત્ર આકીબ મોહમ્મદ સલીમ પુનાવાલા (રહે. અચલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, પંડોળ, નાણાવટ) સાથે રોકડા રૂપિયા 9.56 લાખ લઈ વરિયાવ ગામમાં જમીનનો સોદો કરવા માટે ગયા હતા. જોકે, ત્યાં અલગ-અલગ જમીન જોઇ પણ એપાર્ટમેન્ટ બની શકે તેવી નહીં લાગતાં રાત્રે બંને મિત્રો બાઇક પર સવાર થઇને પોતાની ઓફિસે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન રાત્રે 8.30 વાગ્યાના અરસામાં બંને મિત્રો જહાંગીરપુરા ચેક પોસ્ટ પાસે લઘુશંકા માટે ઉભા રહ્યા હતા ત્યારે એક કારમાં ઇમ્તીયાઝ ઉર્ફે સદામ ઇકબાલ બચાવ તેનો ભાઇ ફૈસલ (બંને રહે. અલફેશીની ટાવર, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે) ઈકબાલ મેમણ (રહે, આમલીપુરા, રાંદેર) અને સાહિદ શબ્બીર ગૌડીલ (રહે, ટ્વિન ટાવર, રાંદેર) આવ્યા હતા. ઈમ્તીયાઝ ઉર્ફે સદ્દામે હમઝા મોહમ્મદ પાસે આવી ‘સદ્દામભાઈ કો બતાયે બિના જમીન ખરીદને નિકલ પડે હો, યહ ઈલાકા સદ્દામભાઈ કા હૈ, યહાં સદ્દામભાઈ જમીન કા ભાવ તૈય કરતા હૈ’ એમ કહ્યું હતું. જ્યારે હમઝાએ ‘હજુ મેં કોઈ જમીનનો સોદો કર્યો નથી’ તેમ કહેતા આ ચારેય જણાએ એકદમ ઉશ્કેરાઈ જઈને હમઝા અને તેના મિત્ર મોહમદ આકીબ મોહંમદ સલીમ પુનાવાલાને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો. ઈમ્તીયાઝ ઉર્ફે સદામ તથા સાહિદ ગૌડીલ તથા ઈકબાલ મેમણે બંને મિત્રોને પકડી રાખ્યા હતા અને ફૈસલ ઈકબાલ બચાવએ બંનેને લાતો મારી પોતાની ફોરવ્હીલ ગાડીમાંથી રેમ્બો છરો લઈ આવી છરો બતાવીને રોકડ ભરેલી બેગ લૂંટી લીધી હતી અને ફૈસલે ‘ચીલ્લાઓ મત, વરના તુમ ઔર તુમ્હારા પરિવાર જાન સે હાથ ધો બેઠોગે’ એવી ધમકી આપી કારમાં બેસીને સારોલી-ઓલપાડ તરફ ભાગી ગયા હતા. જોકે ત્યારબાદ પણ ઇકબાલ મેમણ અવારનવાર હમઝા મોહમ્મદને ફોન ઉપર વોટસઍપ કોલથી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે હમઝાએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય જણા સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સદામ અને સાહિદ ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલાયાપોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં ઇમ્તીયાઝ ઉર્ફે સદામ, સાહિદ ગૌડીલ સામે સુરતના બિલ્ડરને ચપ્પુ બતાવી મારામારી કરીને ખંડણી ઉધરાવવાની છ જેટલા ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને તેમને જેલમાં ધકેલી દીધા છે. જ્યારે ફૈઝલ સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:41 am

પોલીસ કાર્યવાહી:ડી-માર્ટમાં સસ્તી વસ્તુનું સ્ટિકર મોંઘા પર ચોંટાડી ઠગવા જતો યુવક ઝડપાયો

સચિનના ડી માર્ટ મોલમાં સસ્તા સામાન પરથી સ્ટિકર મોંઘી વસ્તુ પર ચોંટાડી ચીટિંગ કરવા જતા બિલિંગ કાઉન્ટર પર બારકોડ સ્કેનિંગ વેળા મેડિકલ સ્ટોર સંચાલકનો ભાંડો ફૂટી ગયો હતો. સ્ટોર મેનેજરે ફરિયાદ આપતાં પોલીસે ફુલદીપરાજસિંહ હંજારામ ચૌધરી (32) (રહે, સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, ભેસ્તાન) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી ભેસ્તાનમાં મેડિકલ સ્ટોર હોવાનું પોલીસને જણાવ્યું છે. ડી-માર્ટમાં 12મી તારીખે બપોરના સમયે એક શખ્સ બે બાળકો સાથે ઘરવખરી સામાનની ખરીદી કરવા માટે આવ્યો હતો. મોલમાં અંદર ફરીને અલગ અલગ 103 વસ્તુઓ લીધી હતી. પછી ટ્રોલીબેગમાં સામાન ભરી મોલમાં બિલિંગ કાઉન્ટર નંબર નંબર-14 પર આવ્યો હતો. જ્યાં આગળ સ્ટાફે સામાનનો બારકોડ સ્કેન કરી ગણતરી કરતા હતા. તેવામાં 3 વસ્તુઓ મોંઘી હતી છતાં તેની ઉપર લાગેલા સ્ટીકરોમાં કિંમત ઓછી લખી હતી. આથી સ્ટાફને શંકા જતા બારકોડના આધારે યુવકનો ભાંડો ફુટી ગયો હતો. વધુમાં મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવક સસ્તા સામાન પરથી સ્ટીકર કાઢી મોંઘા સામાન પર લગાવતો દેખાય છે. જુલાઈમાં પણ સામાન સસ્તામાં તફડાવી ગયો હતોમેડિકલ સ્ટોર ચલાવતા કુલદીપરાજસિંહ અગાઉ જુલાઈ માસમાં પણ ડીમાર્ટમાં ખરીદી કરવા આવ્યા હતા. તે વખતે સસ્તા સામાનની ઉપરથી સ્ટીકર કાઢી મોંઘી કિંમતના સામાન પર ચોટાંડી ખરીદી કરી ગયો હતો. તે વખતે પણ સામાન પડાવીને 1-2 હજારની ચીટીંગ કરી હોવાની વાત સામે આવી રહી છે. 1295 રૂપિયાની વસ્તુઓ 135 રૂપિયામાં ખરીદી હતીયુવકે મોલમાંથી પરફ્યુમ ખરીદી કરી તેની કિંમત 499 રૂપિયા હતી. આ માટે તેણે 25 રૂપિયાની કેડબરીનું સ્ટીકર કાઢી પરફ્યુમની બોટલ પર ચોટાંડી દીધું હતું. આવી જ રીતે આયુવૈદીક ઓઇલ જેની કિંમત 399 હતી તેમાં 45 રૂપિયાવાળા સાબુમાંથી સ્ટીકર કાઢી લગાવી દીધું હતું. ઉપરાંત કોન્ડોમનું પેકેટ 532 રૂપિયાની કિંમતનું હતું તેમાં 65 રૂપિયાની કિટકેટ ચોકલેટનું સ્ટીકર લગાવી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:41 am

દારૂ ઝડપાયો:દેલ્હીવેર કંપનીના પાર્સલમાંથી દારૂની 237 બોટલો પકડાઇ

સચિનના કાછોલીમાં આવેલા દેલ્હીવેર કંપનીના ગોડાઉનમાંથી રૂ.86,240ના દારૂની બોટલો ભરેલા 4 પાર્સલ પોલીસે પકડી પાડ્યા છે. આ દારૂ ગોવાથી મોકલાયો હતો. સચિન પોલીસને બાતમી મળી હતી કે, ભાટિયાથી ડિંડોલી તરફ જતા રોડ પર કાછોલીમાં દેલ્હીવેરી લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આવેલા 4 પાર્સલમાં દારૂની બોટલ આવી છે. બાતમીના આધારે પી.આઇ. પી.એન વાધેલા અને ટીમે ગોડાઉનમાં જઇને તપાસ કરતા પાર્સલના બોક્સમાંથી રૂ.86,240ની કિંમતની 237 દારૂની બોટલો મળી આવી હતા. આ પાર્લસ મોકલનાર સાંઇ એન્ટરપ્રાઇઝ પેલીગોલ, ધાવલી બાયપાસ પોન્ડા ગોવા અને વેસુ રાજહંસ સિનેમાની બાજુમાં આવેલ ફોનીક્સ શોપિંગમાં આવેલી જગદિશ એન્ટરપ્રાઇઝના નામે મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ ગોવાથી માલ મોકલનાર અને સુરતમાં મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ આદરી છે. પાર્સલ ઉંચકતા શંકા ગઈઆ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રકમાં આવેલા પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે આ પાર્સલમાં દવા હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, કર્મચારીએ પાર્સલ ઉંચકતા તેને દારૂ હોવાની શંકા ગઇ હતી. શિરપ-દવા મોકલી હોવાનું બિલ બનાવાયુંદેલ્હીવેરમાં મોકલવામાં આવેલા પાર્સલમાં મોકલેલી દારૂની બોટલ સલામત રહે તે માટે પુઠાના બોક્સમાં અંગ પ્લાયવુડના ટુકડાથી સપોર્ટ મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ પાર્સલમાં સિરપ અને દવાઓ હોવાનું લખ્યું હતું તથા બિલ ટી પણ દવાનું મોકલવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:40 am

પતિ સામે ગુનો દાખલ:પ્રેમ લગ્નનાં 3 વર્ષમાં જ પત્નીનો આપઘાત

લગ્નના ત્રણ વર્ષમાં જ પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા પત્નીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેવાના બનાવમાં પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો લસકાણા પોલીસમાં નોંધાયો છે. પોલીસે પતિની ધરપકડ કરી છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દેણપગામે રહેતા પથુજી લેવાજી ઠાકોરની પુત્રી નિલમને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામમાં રહેતા અશ્વિનજી દુધાજી ઠાકોર સાથે પ્રેમ થઇ ગયો હતો, જેની જાણ તેના પિતા પથુજી લેવાજી ઠાકોરને થઈ જતાં તેમણે નિલમના લગ્ન સમાજના એક પરિચિત યુવક સાથે નક્કી કરી દીધા હતા. જો કે, આ યુવક સાથેના લગ્નના ચાર દિવસ પહેલાં જ નિલમ પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી અને ત્રણ વર્ષ પહેલાં નિલમ અને અશ્વિનજી ઠાકોરે પ્રેમ લગ્ન કરી લીધા હતાઅને મહેસાણા ખાતે જ રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને બે બાળકો પણ અવતર્યા હતા. બીજીતરફ, આશરે પાંચેક મહિના પહેલાં આ પરિવાર સુરત આવ્યો હતો અને લસકાણા વિસ્તારમાં સદભાવના સ્કૂલ પાસે ભાડાના એક મકાનમાં તેઓ રહેવા માંડ્યા હતા. ગત તા. 12મી નવેમ્બરની રાત્રે નિલમે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને એકાએક આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મરનારના પિતા પથુજી લેવાજી ઠાકોરે લસકાણા પોલીસમાં મરનાર નિલમને તેનો પતિ અશ્વિનજી નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી ફરિયાદ નોંધાવી હતી. આ જ કારણસર નિલમે પોતાનું જીવતર ટુંકાવી દીધું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલમાં લસકાણા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી નિલમના પતિ અશ્વિનજીની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસે અશ્વિનની પૂછપરછ શરૂ કરી છે. આગામી દિવસોમાં નિલમ તથા તેના પરિવાર તેમજ સગાસંબંધીઓના પણ જરૂર જણાય તો નિવેદન લેવામાં આવશે એવું પોલીસનું કહેવું હતું. વોટ્સઅપમાં પતિએ ગાળો આપી ‘તારાથી કંટાળ્યો છું’નિલમનો ફોન ચેક કરતા વોટ્સઍપમાં પતિ અશ્વિનની વોઈસ ક્લીપ મળી આવી હતી. જેમાં પતિ અશ્વિને નિલમને ગાળો આપી અને આ છેલ્લો ફોન છે અને તારાથી કંટાળી ગયો છુ તેવી વાતચીત થઇ હોવાનું સામે આવ્યું હતું. અને પિતાએ ફરિયાદ નોંધાવી

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:39 am

ભાસ્કર એક્સક્લુસિવ:સરકારી નોકરી છોડી, PFના મળેલા પૂરા 29 લાખ 1101 પ્રજ્ઞાચક્ષુની સેવામાં વાપરી નાખશે

સમાજમાં શારીરિક ક્ષતિ ધરાવતા અનેક વ્યક્તિઓ હોય છે પરંતુ ઈશ્વરે તેની અંદર કંઈક અલૌકિક શક્તિઓ મૂકીને તેના જીવનને ખાસ બનાવી દીધું હોય છે. મૂળ સુરેન્દ્રનગરના વતની પ્રજ્ઞાચક્ષુ શિક્ષક શશીકાંતભાઈ તન્નાએ પ્રજ્ઞાચક્ષુઓની સેવા માટે નોકરી છોડી દીધી પીએફ અને સરકારી યોજનામાંથી મળેલા 29 લાખ રૂપિયા માત્ર ને માત્ર પ્રજ્ઞાચક્ષુની સેવામાં વાપરવાનો સંકલ્પ કરી 101 પ્રજ્ઞા ચક્ષુઓને જરૂરિયાત મુજબની તમામ સેવા અને સુવિધા પુરી પાડી સમાજમાં આદરપૂર્વક પોતાનું સ્થાન બનાવી શકે તે માટે રહેવા માટેનું આશ્રય સ્થાન બનાવવા માટે પ્રયત્નો કર્યો હતો પરંતુ તે પ્રયત્ન માત્ર 100 લોકો સુધી ન રહેતા તેમાં 10 ગણો વધારો કરીને 1108 પ્રજ્ઞાચક્ષુ રહી શકે તે માટે પરમાર્થ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર એ બીડું ઝડપ્યું છે. સંસ્થાના અગ્રણી ભરતભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક દંપતિ નો ખુબ જ ઉમદા ભાવ સાથે સંકલ્પ હતો પરંતુ તેમાં વધારે ઉમેરો કરીને અમે 1100 પ્રજ્ઞાચક્ષુઓને રહેવા જમવા માટેની સુવિધા ઉભી કરવાના છીએ. હાલ વાવ ગામમાં ભાડાની જગ્યામાં 22 વ્યક્તિ રહે છે 300 ફોર્મ આવી ગયા છે. કોર્પોરેશન પાસે જગ્યાની માગણી કરી દાતાઓના સહયોગથી ભવન ઉભુ કરવામાં આવશે. સંસ્થા તાલીમ આપી રોજગારી આપવા માટે પ્રયાસ કરે છેપ્રજ્ઞાચક્ષુઓને માત્ર રહેવા જમવા માટેની સુવિધા પૂરી પાડવી એટલું જ નહીં પરંતુ તેઓને જે વિષયમાં રૂચી હોય તેની તાલીમ આપવામાં આવે છે તાલીમ લીધા પછી તેને રોજગારી પણ આપવામાં આવે છે તે ભલે સંસ્થામાં રહેતા હોય પરંતુ અહીંયા રહીને પણ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે માટે કામ આપવામાં આવશે. કોમ્પ્યુટર, સંગીત,પેકેજીંગ, સોસાયટીમાં લિફ્ટ મેન વગેરે કામ કરી શકે એના માટે તાલીમ આપવામાં આવશે અને તમામને રોજગારી મળી શકે તેવો પ્રયાસ કરવામાં આવે છે. પ્રજ્ઞા ચક્ષુઓની સેવા માટે સરકારી નોકરી કરી દીધીહું જ્યારે અમરેલીમાં 10મુ ધોરણ ભણતો ત્યારે ભીખ માંગતા બિહારી છોકરાને જોઇ મેં પૂછ્યું કે અહીં કેવી રીતે આવ્યો તો તેણે કહ્યું કે હું અંધ હોવાથી માતાએ મને ઘરેથી કાઢી મૂક્યો કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. આ વાત સાંભળીને નિશ્ચય કર્યો કે પ્રજ્ઞાચક્ષુઓ માટે કંઈક કરવું જોઈએ. અંધજન સંસ્થામાં ટ્રસ્ટી રહીને 22 વર્ષ સુધી સરકારી નોકરી કરી 2022માં કંઈક કરવાના વિચાર સાથે VRS લઈ મળેલી તમામ રકમ સેવામાં વાપરવી અને પત્નીના પગારમાંથી જીવન નિર્વાહના સંકલ્પ સાથે સંસ્થાનો પ્રારંભ કર્યો. > શશીકાંતભાઈ તન્ના,

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:38 am

નિર્ણય:પશ્ચિમ રેલ્વે બાંદ્રા-દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવશે

સુરત | મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા (જયપુર) વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, આ ખાસ ટ્રેન ફક્ત બે ટ્રીપ માટે જ દોડશે. સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 09730, 17 નવેમ્બર, સોમવારના રોજ સવારે 10:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:30 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09729, 16 નવેમ્બર, 2025, રવિવારના રોજ બપોરે 12:25 વાગ્યે દુર્ગાપુરાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7:00 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન સુરત, વડોદરા, રતલામ, નાગદા અને કોટા સહિત અનેક સ્ટેશનો પર રોકાશે. મુસાફરોની સુવિધા માટે, ફર્સ્ટ એસીથી લઈને જનરલ અને સેકન્ડ ક્લાસ સુધીના તમામ કોચ ઉપલબ્ધ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:37 am

ગોઝારો બનાવ:ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકતાં યુવકનું ગળુ કપાઈ ગયું

પાંડેસરામાં ટાઈલ્સનું કામ કરતી વખતે ટાઈલ્સ કાપવાનું મશીન છટકી જતા ગળુ કપાઈ જવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. લિંબાયત નીલગીરી સર્કલ રંગીલા નગર ખાતે રહેતો 19 વર્ષીય રાહુલ રવિન્દ્ર મગરે ટાઈલ્સ ફીટીંગનું કામ કરતો હતો. શનિવારે સવારે પાંડસરા આવિર્ભાવ સોસાયટીમાં એક મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકી જતા રાહુલનું ગળુ કપાઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અક્સમા મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:36 am

આપઘાત:લોનના હપ્તા ન ભરાતા યુવાન રત્નકલાકારનો ઝેર પી આપઘાત

કતારગામના યુવાન રત્નકલાકારે ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું. પર્સનલ લોનના હપ્તા ન ભરાતા રત્નકલાકારે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. સુરેન્દ્ર નગરના વતની અને કતારગામ બળવંત નગર ખાતે રહેતો 24 વર્ષીય વિકાસ ચમનભાઈ સરવાડીયા હીરાના કારખાનામાં કામ કરી એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે રાત્રે વિકાસે ઘરે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ શનિવારે સવારે તેનુ મોત નીપજ્યું હતું. વિકાસે પર્સનલ લોન લીધી હતી. જેના હપ્તા ભરાતા ન હોવાથી તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. આપઘાતના અન્ય બનાવમાં અમરોલી પ્રમુખ રેસીડેન્સી ખાતે રહેતા 32 વર્ષીય અશ્વિન અરજણભાઈ ચાંદપરા સાડીનું હેન્ડવર્કનું કામકાજ કરતા હતા. શુક્રવારે રાત્રે તેમણે અમરોલી ખોડીયાર ફાર્મ પાસે ઝેર પી લીધું હતું અને ત્યાર બાદ મિત્રને જાણ કરી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:36 am

કારખાનામાં લાગી આગ:ભાઠેનામાં બ્લાઉઝના કારખાનામાં શોર્ટસર્કિટના કારણે આગ, દોઢ કલાકે અઆગ કાબૂમાં આવી

ભાઠેના માં બ્લાઉઝના કારખાનામાં ત્રીજા માળે શનિવારે સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. ભાઠેના નસરવાનજી એસ્ટેટમાં તૈયાર બ્લાઉઝના કારખાનામાં ત્રીજા માળે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. કારખાનામાં આગ લાગી હોવાની જાણ થતાની સાથે કારખાનામાં કામ કરતા કામદારો બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દોઢ કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં તૈયાર બ્લાઉઝ તેમજ કાપડનો જથ્થો બળી ગયો હતો. જ્યારે અડધો જથ્થો ફાયરની ટીમે બચાવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પનાસ નજીક રોડ પર પટ્ટા પાડતા મશીનમાં આગ પનાસ કેનાલ રોડ પર રોડ પર પટ્ટા પાડવાની કામગીરી શનિવારે વહેલી સવારે ચાલી રહી હતી. દરમ્યાન ગેસ દ્વારા ગરમ થતો કલર ટેમ્પોમાં પડતા આગ પકડાઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો અને ટેમ્પોને બચાવી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:35 am

મહિલા શિક્ષકોને હેરાનગતિ:BLOની ફરજમાં 70% મહિલા શિક્ષિકાઓના મોબાઇલ નંબર જાહેર થતાં સમસ્યા, ફોન આવે છે, ‘એકલી છે કે પરિવાર સાથે?’

સુરત સહિત રાજ્યભરમાં મતદાર યાદી અપડેટ માટે ચાલી રહેલી બીએલઓ કામગીરીમાં 90% શિક્ષકો ફરજ બજાવે છે, જેમાં 70% મહિલા શિક્ષકો છે. ચૂંટણી પંચે આ મહિલાઓના ફોન નંબર જાહેર કર્યા હોવાથી કેટલીક જગ્યાએ ટિખળખોરો અડધી રાતે ફોન કરી પુછે છે, ‘શું કરી રહી છે? એકલી છે કે પરિવાર સાથે’ આ પરિસ્થિતિ મહિલાઓને પરિવાર અને સામાજિક સ્તરે અશોભનીય સ્થિતિમાં મૂકાઈ છે. આ વાત શિક્ષણ સમિતિના શિક્ષક સૂત્રોથી જણાઈ છે. અત્યાર સુધી અન્ય 12 કેડરના કર્મચારીઓમાં પણ BLO ફરજ ફાળવવાની વ્યવસ્થા હોવા છતાં 90% કર્મચારીઓ તરીકે શિક્ષકોને જ બીએલઓની ફરજ સોંપવામાં આવી છે. પરિણામે સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું અભ્યાસ બગડી રહ્યો છે.જેથી તે 12 કેડરના કર્મચારીઓને પણ બીએલઓની ફરજ સોપવાની માંગ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ શિક્ષિકાઓ માનસિક તણાવ અનુભવી રહી છેકેસ-1: અડધી રાતે કેટલાક લોકો ફોન કરીને ‘તમે શું કરી રહી છે?’ અથવા ‘હાલમાં ક્યાં છે?’ પુછે છે, ક્યારેક ‘એકલા છો કે ઘેર લોકો છે?’ પણ પુછે છે. આવા કોલથી પરિવારમાં તકલીફ આવી જાય છે અને માનસિક તણાવ પણ ઊભો થાય છે. કેસ-2: કેટલાક લોકો નંબર સાથે નામ જાણી લઈને સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલે છે, પરિવાર સાથેના ફોટા લાઈક અથવા કમેન્ટ કરે છે. આ રીતે મહિલાઓને હેરાનગીને સામનો કરવો પડે છે. કેસ-3: ઘણી વખત વિચિત્ર પ્રશ્નના ફોન પર જવાબ નહીં આપે તો લોકો ગુસ્સે થઈ જાય છે. જેમાં ‘કેમ એકલા છો?’, ‘તમારા લગ્ન થઈ ગયા?’, ‘તમે ક્યારે લગ્ન કરશો? મારો દિકરો હજી કુવારો છે’ જેવા સવાલ પુછવા સાથ વાત રહે છે, જે વાત અને સવાલનો જવાબ નહીં આપીયે તો ગુસ્સે થઈ જાય છે.સતત તણાવ સર્જે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:35 am

સિટી એન્કર:ટ્રમ્પના ટેરિફની અસર, 8 વર્ષના ઓક્ટોબરની સરખાણીમાં આ વર્ષે નેચરલ ડાયમંડનું સૌથી ઓછું એક્સપોર્ટ, લેબગ્રોનમાં 31% ઘટાડો

ટ્રમ્પના ટેરિફને કારણે જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને મોટી અસર પડી છે. છેલ્લાં 8 વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં આ વર્ષે સૌથી ઓછું 9071 કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયું હતું. સૌથી વધુ એક્સપોર્ટ 2021ના ઓક્ટોબરમાં 19175.16 કરોડ અને 2018ના ઓક્ટોબરમાં 16993.89 કરોડ હતું. ગત વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં લેબગ્રોનના એક્સપોર્ટમાં પણ 31.5 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં 1218 કરોડના જ્યારે આ વર્ષે 834 કરોડના લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. પ્લેઈન ગોલ્ડ જ્વેલરી, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરીનાં એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે. ઓર્ડર ઘટી ગયા, અમેરિકનોને પણ જ્વેલરી મોંઘી પડી રહી હોવાથી ખરીદી ટાળી રહ્યા છેપ્લેટિનમને બાદ કરતાં જેમ એન્ડ જ્વેલરીની મોટા ભાગની કેટેગરીમાં એક્સપોર્ટ ઘટ્યું છે. અમેરિકાએ જેમ એન્ડ જ્વેલરી પ્રોડક્ટ પર ટેરિફ લાદ્યો છે તેની આ અસર છે. આ વર્ષે નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 23 ટકા જ્યારે પ્લેઈન ગોલ્ડ જ્વેલરીમાં 31.50 ટકાનો ઘટાડો થયો છે. દિવાળીના મહિનામાં એક્સપોર્ટ કર્યું હતું, પરંતુ હાલ ઓર્ડર ઓછા છે. ભારતની જેમ એન્ડ જ્વેલરી પર મોટો ટેરિફ લાગતાં અમેરિકનોને પણ જ્વેલરી મોંઘી પડી રહી છે, જેથી ખરીદી ટાળી રહ્યા છે. તેમની ખરીદી ઓછી થઈ હોવાથી તેની અસર ભારત અને ખાસ કરીને સુરતના માર્કેટ પર પડી રહી છે. > દિનેશ નાવડિયા, ચેરમેન, IDI ઓક્ટોબરમાં જેમ જ્વેલરીનું એક્સપોર્ટ (કરોડમાં) 8 વર્ષમાં ઓક્ટોબરમાં નેચરલનું એક્સપોર્ટ (કરોડમાં)

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:32 am

રોડ કાપી મરામતની કામગીરીના સેમ્પલ લેવાયા:DLPમાં તૂટેલા રોડ મુદ્દે શું કાર્યવાહી કરી તે જાણવા ટીમ સુરતમાં, કાલે CMને 21 મુદ્દાનો રિપોર્ટ કરાશે

ગુરુવારે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ કરી પાલિકા કમિશનરને તૂટી ગયેલા રસ્તા રિપેરિંગની કામગીરીમાં ગંભીરતા દાખવવા તાકીદ કર્યા બાદ શનિવારે ગાંધીનગરથી ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ની ટીમ કામગીરીની સમીક્ષા માટે સુરત આવી હતી. ખાસ કરીને DLP (ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ)માં તૂટેલા રોડ મુદ્દે શું કાર્યવાહી કરી તે જાણ્યું હતું. હવે મુખ્યમંત્રીને સોમવારે 21 મુદ્દાનો રિપોર્ટ આપશે. GUDMના આર.વી. પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી આવેલી ટીમે ઇન્સ્પેક્શન કરી રસ્તાને સાઇડ પરથી ગોળાકારમાં કાપીને કામગીરીના સેમ્પલ પણ લીધા હતા. આ 21 મુદ્દાનું વેરિફિકેશન કરી અહેવાલ બનાવાશેટીમે વિવિધ ઝોનમાં કામગીરીનું ઇન્સ્પેક્શન કરી DLP કાળમાં જ તૂટી ગયેલા રોડ મુદ્દે કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરી તેના જવાબ પણ માંગ્યા હતા. ટીમે રિપેરિંગ સ્થળે જઇને કામનું નામ, યોજના, ટેક્નિકલ મંજૂરીની માહિતી, રોડ ટેન્ડર માટે મૂકવામાં આવેલી રકમ, ટેન્ડર ખર્ચ, ટેન્ડર કરાર નંબર, કોન્ટ્રાક્ટરનું નામ, નિર્માણ શરૂ કર્યાની તારીખ, નક્કી સમય ગાળો, ક્યારે પૂર્ણ કર્યું, ટેન્ડર મુજબ DLP ગાળો, ગેરંટી પૂર્ણ થવાનો ગાળો, નિરિક્ષણની તારીખ, કયા અધિકારીએ ઇન્સ્પેક્શન કર્યુ, રોડની લંબાઇ, રોડ ક્યારે તૂટ્યો, તૂટેલા રોડ પર કેટલું રિપેરિંગ કરાયું, રિ-ઇન્સ્પેક્શન, કેટલો દંડ વસૂલાયો અને કેટલી નોટિસ ફટકારી? જેવા 21 મુદ્દાઓની નોંધ લેવામાં આવી છે. આ તમામ માહિતીઓ મેળવીને હવે રિપોર્ટ તૈયાર કરાશે. 2 દિવસમાં 43 3,534 ટન ડામર પાથરી 4. 257 કિમીના રસ્તાઓની મરામતમુખ્યમંત્રીની તાકીદ બાદ માત્ર 2 દિવસમાં 43 રસ્તાઓ પર 3,534 ટન ડામર પાથરીને 4,257 મીટર લંબાઇમાં રોડનું રિપેરિંગ કરી દેવાયું છે, ત્યારે સ્થળ પર પહોંચેલી GUDMની ટીમે કામગીરીની ગુણવત્તા અને ઘનતા તપાસવા માટે કોર નમૂનાઓ અને બાઈન્ડર સામગ્રીના નમૂના પણ એકત્રિત કર્યા હતાં. સેમ્પલોના પરીક્ષણ અંગે કાર્યવાહી કરી 17મીએ ફોટોગ્રાફ સાથે વિસ્તૃત અહેવાલ રજૂ કરાશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:29 am

આવેદન:શિક્ષકો સામે ધરપકડ વોરંટ કઢાતાં વિરોધ વંટોળ‎

ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘએ શિક્ષકોની બીએલઓની તેમજ સુપરવાઇઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીનું જલ્દી નિરાકરણ લાવવા અને ધરપકડ વોરંટ પ્રથા સદંતર રદ કરવા માટે મુખ્ય મંત્રીને સંબોધીને અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ હેઠળ સુપરવાઇઝર ના માર્ગ દર્શન હેઠળ ભૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને એમ્યૂરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શિક્ષકો માટે અત્યંત કઠિન સમય માગીલે તેવું અને માનસિક તણાવ ઊભું કરનાર છે. કોઈ કારણ સર બીએલઓ શિક્ષક કામગીરી માં હાજર ન રહી શકે તો તેની ધરપકડ વોરંટ જારી થવાથી ખુબજ દુખદ અને અપમાન જનક છે. વધુમાં જણાવ્યુ છે કે લક્ષ્યાંક પૂર્ણ કરવામાં ઘણા બધા પરિબળો અસર કરતાં હોય છે. જેથી અમારી મુખ્ય માગ છે કે બીએલઓ કામગીરી દરમિયાના ધરપકડ વોર્સ્ન્ત પ્રથા રદ કરવા માં આવે. બીએલઓ ફરજનો સમાન વહેંચણી આદેશ અમલ માં લાવો, શિક્ષકોને અપમાન જનક વર્તનથી મુક્તિ આપવી, તેમજ ચૂંટણી પંચના આદેશ મુજબ અન્ય કેડરના કર્મચારીઓમાં થી સમાન ફાળવણી થાય તેવી શૈક્ષિક મહાસંઘએ આવેદન પાઠવી રજૂઆત કરી છે. બીએલઓ કામગીરી સાથે શાળાને આ કામગીરી પણ સોપાય‎ભરૂચ જિલ્લામાં 700 જેટલા શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. તે સિવાય પણ અન્ય કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવી છે, જેવી કે વાંચન-ગણન, નિપૂર્ણ પખવાડિયું, કલાઉત્સવ જેવી કામગીરી માટે પણ પરિપત્ર કરવામાં આવ્યા છે. જેથી શિક્ષકો કઈ રીતિ તમામ કામગીરી એક સાથે કરવી તેવી મુંઝવણમાં મુકાયા છે. તેથી માનસિક રીતે શિક્ષકો હેરાન થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:28 am

પાલમાં RTO ઈન્સ્પેક્ટર પર કાર ઓવરટેકિંગ મુદ્દે હુમલો:‘યહાં દુબારા દિખે તો ગાડી કે સાથ જલા દેંગે, જો કરના હૈ કરો, હમ છોડેંગે નહીં’

‘યહાં દુબારા દિખે તો ગાડી કે સાથ જલા દેંગે. જો ઉખાડના હે વો ઉખાડ લો. હમ તેરે કો છોડેગે નહીં’ આવી ધમકી આપી મુંબઈના બે યુવકે RTO ઈન્સ્પેકટર પર હુમલો કર્યો હતો. ઈન્સ્પેક્ટરે પાલ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે પ્રેમ સંજય ગાયકવાડ (23) અને સોમેલ વિજય ગાયકવાડ (22) (બંને રહે, સૂર્યમ હેરોઝન, પાલ, મૂળ મુંબઈ)સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ભાસ્કર ફર્સ્ટ પર્સનકાર પર લાત મારી અને કાચ પર મુક્કો માર્યોહું મારી કારમાં પાલ ગૌરવપથ પર જતો હતો ત્યારે મોપેડ પર જતા યુવકે ફુલસ્પીડમાં ઓવરટેક કરતાં ટક્કર લાગતા રહી ગઈ હતી. મેં હોર્ન મારી સાઇડ લેવા પ્રયાસ કર્યો તો ચાલકે સાઇડ આપી ન હતી. મેં મારી કાર આગળ લેતાં મોપેડચાલક અને પાછળ બેઠેલા યુવકે કારમાં લાત મારી હતી. આથી મેં કાર સાઇડ પર ઊભી રાખતાં બંનેએ આવી કાચ પર મુક્કો માર્યો હતો. હું નીચે ઉતરી નુકસાન થયું કે કેમ તે જોતો હતો ત્યારે બંનેએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. મને ડાબી આંખ અને ગાળાના ભાગે ઈજા થઈ હતી. >તુષાર બારીયા, RTO ઈન્સ્પેકટર

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:26 am

ભાસ્કર નોલેજ:ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા 135 ટીમ સર્વે કરશે‎

ભરૂચ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હોય છે અને આવા બાળકોને ફરીથી શાળાએ મોકલવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર શિક્ષા ભરૂચ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત 6 થી 18 વર્ષની વયજૂથના કદી શાળાએ ન ગયેલ અને શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા બાળકો કે, પોતાનું ધોરણ 1 થી 12 શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોને શોધવામાં આવશે. શિક્ષણ વિભાગે આવા બાળકોના વાલીઓને પણ અપીલ કરી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત 135 જેટલા સભ્યોની ટીમ શાળા બહારના તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલા બાળકોના સર્વેની કામગીરી હાથ ધરશે. તેમજ ત્યાં રખડતા, ભટકતા, ચા ની કિટલી પર કામ કરતા બાળકો જોવા મળે તો આ બાળકોને નજીકની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાણ કરી બાળકોના શિક્ષણ માં સહભાગી બનવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આવા બાળકોનું નજીકની કોઈ પણ માધ્યમિક શાળામાં જઈ રજીસ્ટ્રેશન વિના મૂલ્યે કરાવી શકાશે. ઉલેખનીય છે કે ગત વર્ષે સર્વે દરમિયાન શિક્ષણ વિભાગે કુલ 980 જેટલા કદી શાળાએ ના ગયેલ હોય અથવા તો અધવચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 56 બાળકોને સીધા ધોરણ-1 માં જ્યારે 300 જેટલા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મેઈન સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા. 653 બાળકોને જીએસઓએસ અંતર્ગત ધોરણ-9 અને 11 માં પ્રવેશ અપાવ્યો હતો. શહેરી વિસ્તારમાં અર્બન, સ્લમ પછાત એરિયામાં, રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો, ઝૂપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઇટ પર મંજૂરી માટે આવેલ પરિવારો વસતા હોય તેમના બાળકો સિનેમા ઘરોની આસપાસના વિસ્તારના. ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલ ના અંતરિયાળ વિસ્તારમાં સર્વે કરીને બાળકોને શોધવામાં આવશે. ત્યાર બાદ બાળકોનું શાળામાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:26 am

રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પાસવાન કેવડિયાની મુલાકાતે:ગુલાબી રિક્ષાઓ આદિવાસી બહેનો માટે‎રોજગારીનું એક મજબુત સાધન બની ચૂકી‎

રાજકોટથી શરૂ થયેલો ગુલાબી રીક્ષાનો પ્રોજેકટ આજે એકતાનગરમાં આદિવાસી બહેનો માટે રોજગારી તથા આત્મનિર્ભરતા બંનેનું મજબૂત સાધન બની રહ્યો છે તેમ કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસના રાજયકક્ષાના મંત્રી કમલેશ પાસવાને જણાવ્યું હતું. તેમની અધ્યક્ષતામાં એસએસ એનએલના કોન્ફરન્સ હોલમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પાસવાને નર્મદા જિલ્લાના એકતાનગરનાં સરદાર સરોવર નર્મદા નિગમ કોન્ફરન્સ હોલ ખાતે દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ની સમીક્ષા બેઠક કરી હતી. તેમણે એકતાનગરમાં ચાલી રહેલા પિંક રિક્ષા કોન્સેપ્ટની પ્રશંસા કરી જણાવ્યું કે રાજકોટથી શરૂ થયેલો આ પ્રયોગ એકતાનગરમાં આદિવાસી બહેનો માટે રોજગારી તથા આત્મનિર્ભરતા બંનેનું મજબૂત સાધન બની રહ્યો છે. વધુમાં તેમણે મનરેગા, લખપતિ દીદી યોજના, ડ્રોન દીદી પહેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામણી યોજનાઓના લાભાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી તેમના અનુભવ જાણી ખુશી વ્યક્ત કરી હતી. સ્વયંસહાય જૂથોની પ્રશંસા, મહિલા સ્વયંસહાય જૂથોની કામગીરીની વખાણ કરતાં તેમણે જણાવ્યું કે, લખપતિ દીદી અને ડ્રોન દીદી જેવી યોજનાઓ ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં અત્યંત અસરકારક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેસલાહ- સૂચના આપી કે લાભાર્થીઓ સુધી લાભ પારદર્શક અને સમયસર પહોંચે તે જોવા તાકીદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:24 am

પેરલલ ટેક્સી ટ્રેક બન્યો બિનઉપયોગી:એરપોર્ટનો ટેક્સી ટ્રેક તૈયાર પણ મંજૂરી પેન્ડિંગ, ફ્લાઇટ ઓપરેશન મોડું પડે છે

એરપોર્ટ પર પેરલલ ટેક્સી ટ્રેક પૂર્ણ થઈ ગયો છે. જો કે, ડીજીસીએએ ફાઇલ ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપી નથી, જેથી ફ્લાઇટના ઓપરેશન પર અસર પડી રહી છે. પેરલલ ટેક્સી ટ્રેક એ રનવેની બાજુનું અલગ ટ્રેક છે, જે ફ્લાઇટોને ક્રોસિંગ વિના ઝડપથી રનવે પર કે રનવે પરથી આગળ-પાછળ જવા બનાવાય છે. આ ટ્રેક લેન્ડિંગ અને ટેકઓફ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, એરપોર્ટની ક્ષમતામાં વધારો કરી ફ્લાઇટના સમયની બચત કરે છે. પીટીટીની મંજૂરીના અભાવે એરપોર્ટને નડતી સમસ્યાટેક્સી ટ્રેક વાપરી ન શકાતો હોવાથી ફ્લાઇટ રનવે પર અથવા હવામાં લાઇનમાં એટલે કે વેઇટિંગમાં મૂકવી પડતી હોય છે, જેના કારણે લેન્ડિંગ અને ટેકઓફમાં મોડું થાય છે. રનવે ઓક્યુપન્સી વધે છે અને ફ્લાઇટ્સ માટે સ્પષ્ટ મેન્યૂવરિંગ માર્ગ ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ફ્લાઇટ સલામતી માટે જોખમ ઉભું કરે છે અને ડીજીસીએના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે, જેના કારણે લિગલ અને ફાઇનાન્સીયલ રિસ્ક પણ ઊભો થાય છે. એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેક શા માટે જરૂરીપેરેલલ ટેક્સી ટ્રેક એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટેક્નિકલ ઘટક છે, જે રનવેની પેરેલલ લાઇન પર ફ્લાઇટ માટે જુદો ઍક્સેસ તરીકે ડિઝાઇન કરાયો છે. તે ફ્લાઇટને ક્રોસિંગ વિના રનવે પર એપ્રોચ અને ડિપાર્ટર માટે મેન્યૂવરને સુરક્ષિત રીતે કાર્યાન્વિત કરવા આપે છે, જેના કારણે રનવે ઓક્યુપન્સી ટાઈમ ઘટાડે છે અને એરપોર્ટ ઓપરેશનલ ક્ષમતા વધે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:24 am

DRIએ સપ્તાહ અગાઉ કરેલા ઓપરેશનમાં ખુલાસો:દક્ષિણમાં તાડીમાં ભેળવીને પીવાતા ડ્રગ્સના 25 કરોડથી વધુનાં સાત કન્સાઇન્મેન્ટ તેલંગાણા મોકલાયાં

સુરત અને વાપી ડીઆરઆઇએ સપ્તાહ અગાઉ રૂપિયા 22 કરોડનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પુરાવાના આધારે ખુલાસો થયો હતો કે આરોપીઓએ અગાઉ 2 કરોડથી વધુનાં સાત કન્સાઇન્મેન્ટ પણ સાઉથ ઇન્ડિયા મોકલ્યાં હતાં, જેમાં મોટાભાગનો માલ તેલંગાણા મોકલાયો હતો. આ માલ કોને સપ્લાય થયો છે એ અંગે વધુ માહિતી મેળવવા ટીમે સાઉથમાં પણ તપાસ શરૂ કરી છે. ડીઆરઆઇએ વલસાડ હાઇવે પર તપાસ કરીને 9.55 કિલો અલ્પ્રાઝોલમ (તૈયાર માલ) 104.15 કિલો અર્ધ તૈયાર અને 431 કિલો કાચો માલ ઝડપી પાડ્યો હતો, જેમાં નાઇટ્રોકલોરોબેઝિન ફોસ્ફોરસ, પેન્ટાસલ્ફાઇડ, ઇથાઇલ, એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં અશોક, ચંદ્રકાન્ત, કેતન અને એક સાઉથ ઇન્ડિયનનો છે. આરોપીઓ બંધ મકાનમાં ફેકટરી ચલાવતા હતા ત્યારે દરોડા પાડીને ધરપકડ કરી હતી. બાદમાં તમામને જેલ ભેગા કરાયા હતા. 1-1 કિલો માલથી શરૂઆતતપાસમાં સામે આવ્યું કે, સિન્થેટિક ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી ત્યારે કિલોના 20 લાખના ભાવે 1-1 કિલો માલ સાઉથ મોકલાતો. બાદમાં ઓર્ડર વધતા 4-5 કિલો સુધી મોકલાયા. દરોડા પડ્યા ત્યારે કાચા માલ સહિત 10 કિલો ઝડપાયું હતું. સાઉથમાં આ ડ્રગ્સને તાડીમાં ભેળવીને પીવામાં આવે છે. ભાસ્કર એક્સપર્ટકોર્ટના આદેશ બાદ ડ્રગ્સ ખુલ્લામાં બાળી નંખાઈ છેએજન્સીઓ જે માલ પકડે છે તેને જે તે સમયે તો યોગ્ય જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે અને તેના નિકાલની પ્રોસિજર માટે કોર્ટમાં અરજી કરવામાં આવે છે. કોર્ટના આદેશ બાદ સમગ્ર માલને ખુલ્લી જગ્યામાં બાળી નાંખવામાં આવે છે. જેમ પોલીસ કેસમાં દારૂનો નિકાલ કરવામાં આવે છે એવી જ રીતે ડીઆરઆઇ કે અન્ય એજન્સી ડ્રગ્સનો આ રીતે નિકાલ કરે છે. > વત્સલ કેતન રેશમવાલા,એડવોકેટ

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:22 am

વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃદ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

કોઠારિયા રોડ પરના વિસ્તારમાં રહેતા વૃદ્ધ કારખાનેદાર વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આનંદનગર પાસે સાધના સોસાયટી શેરી નં.2માં રહેતા ગિરીશભાઈ મનસુખભાઈ પિત્રોડા નામના વૃદ્ધ પોતાના ઢેબર રોડ પર અટિકા ફાટક પાસે આવેલા દર્શન મેન્યુફેક્ચર નામના કારખાને હતા ત્યારે તેણે ઝેરી દવા પી લેતા વૃદ્ધની તબિયત લથડતાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ મામલે પોલીસમાં વૃદ્ધના પુત્ર જયેશે કરેલી અરજીમાં ચિરાગ છનાલાલ પટેલ, તેની પત્ની રીના પટેલ, મહેશ ગઢવી, કેવલ દફતરી અને અંકિત જીનોયા સહિતના પાંચ સામે કરેલ અરજીમાં જણાવ્યું હતું કે, ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા હતા. વર્ષ 2024માં વ્યાજ સહિત રકમ ચૂકવી દીધા છતાં સિક્યુરિટી પેટે આપેલ કોરો ચેક પરત ન આપી વધુ વ્યાજની માગણી કરતા હતા. પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી જઈ પગલું ભર્યું હોવાનું જણાવતા પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:19 am

કાશ્મીરી ઝડપાયા:રાજકોટના ઢેબર રોડના વિરાણી અઘાટ પાસેના ઈન્ડસ્ટ્રીઝ એરિયામાંથી પાંચ કાશ્મીરી ઝડપાયા

તાજેતરમાં જ બનેલી દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ શહેરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ભક્તિનગર પોલીસે ઢેબર રોડના વિરાણી અઘાટ પાસેના ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ ઓરડીમાં ભાડેથી રહેતા પાંચ કાશમીરીને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં ઓરડી માલિકે નજીકના પોલીસ સ્ટેશનમાં આ પાંચ કાશમીરીની કોઈ નોંધ ન કરાવી હોવાથી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તમામના ફોન તપાસ અર્થે સાયબરમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઢેબર રોડ પર વિરાણી અઘાટ પાસે ઘનશ્યામ-3 ઈન્ડસ્ટ્રીઝ એરિયા વિસ્તારમાં આવેલ ઓરડીમાં પાંચ કાશ્મીરી રહેતા હોવાની બાતમીને આધારે ટીમે દરોડો પાડી ઓરડી તપાસતા તે ઓરડી દોઢસો ફૂટ રોડના સમૃદ્ધિ પાર્કમાં રહેતા ભગીરથસિંહ શક્તિસિંહ રાણાની માલિકીની હોવાની અને નજીકના પોલીસ મથકમાં પરપ્રાંતીય માણસને ભાડે આપેલ હોવાની કોઈ નોંધ ન કરાવી હોવાથી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ભાડૂઆત તરીકે રહેતા પાંચેયના નામ-ઠામ, આધારકાર્ડ તપાસતા 1)રાશીદલતીફ અબ્દુલલતીફ મલીક, 2)મહમદઅખ્તર અબ્દુલ નાયક, 3)ઝાહીદ ઈકબાલ મલીક, 4)દાનીશ મુસ્તાક મલીક અને 5)મોહંમદ ઉર્ફે આઝેમ અબ્દુલ મલીક રહે તમામ કાશ્મીર હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પાંચેય કાશમીરીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં રહી ટ્રાન્સપોર્ટમાં મજૂરીકામ કરે છે. પાંચેયના ફોન સાયબરમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જો શંકાસ્પદ કઈ જણાઈ આવશે તો કાર્યવાહી હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:19 am

પ્રેમીપંખીડાંનો આપઘાત:માલિયાસણ પ્રેમીના ઘરે પરિણીત પ્રેમીપંખીડાંનો સજોડે આપઘાત

શહેરના RTO પાછળ આવેલા નરસિંહનગર શેરી નં.1માં રહેતા મનીષભાઈ વધેરા(ઉ.વ.45) તથા મેઘમાયાનગર શેરી નં.4 આંબેડકરનગરમાં રહેતી તેની પ્રેમિકા કાન્તાબેન નરેશભાઈ રાઠોડ(ઉ.વ.42) બન્નેએ મનીષના માલિયાસણ ગામે દલિતવાસમાં આવેલા મકાને જઈ છતના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે યુવકની શોધમાં નીકળેલા પરિવારજનો દલિતવાસના મકાને જઈ તપાસ કરતાં બંનેને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 108ને જાણ કરતાં ઈએમટી સહિતનાએ બન્નેને તપાસી મૃત જાહેર કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પીએસઆઈ ડી.વી.ભગોરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષ અને કાન્તાને છેલ્લા ઘણા વર્ષથી પ્રેમસંબંધ હતો. મનીષને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે તેની પ્રેમિકા કાન્તાને એક પુત્રી અને પુત્ર છે. આપઘાત કરતાં પૂર્વે મનીષે તેના ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મને કોઈ ગોતવાની કોશિશ ન કરતા કહી ફોન મૂકી દીધો હતો. બાદ પરિવારે યુવકના ફોનના લોકેશન આધારે માલિયાસણ ગામ પહોંચ્યા હતા ત્યારે બન્નેએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:18 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:મેટોડા GIDC પાસેથી રૂ.68.32 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

મેટોડામાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 20,664 જેની કિંમત રૂ.68.32 લાખ સાથે હનિફ ઇલિયાસભાઈ જેડા(ઉ.વ.26, રહે. જામનગર ચકલી કાંટા પાસે, જોડિયા) તેમજ જાકીર કાસમભાઇ સંઘાર(ઉં.વ.26, રહે. જામનગર રામેશ્વર માટેલ ચોક, જી. જામનગર) બંનેને ઝડપી લીધા હતાં. દારૂનો જથ્થો રાજકોટના જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલાએ મગાવ્યો હોવાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:17 am

કામગીરીનો પ્રારંભ:અંકલેશ્વર-નેત્રંગ નેશનલ હાઇવેના મરામતની કામગીરીનો પ્રારંભ કરાયો

ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા મહત્વના માર્ગ પૈકીના એક અંકલેશ્વર - નેત્રંગ હાઇવેના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખરા માર્ગોબિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની તેમજ રીસર્ફેસિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાનવિભાગ રાજ્ય રાજપારડી નેત્રંગ રોડ પર પેવર પટ્ટાની કામગીરી અને અંકલેશ્વર- નેત્રંગ હાઈવે પર ડામરની કામગીરી કરવામાં આવી હતી. આ રસ્તો ખખડધજ હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં હતાં.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:17 am

ભારતીય અધિવેશન, કોઇમ્બતુરમાં જાહેરાત:સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે નિમણૂકની ઘોષણા

સંસ્કૃતાનુરાગીઓનો મહાસંગમ સંસ્કૃત ભારતીના અધિવેશનમાં જોવા મળ્યો હતો. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે નિમણૂકની ઘોષણા અખિલ ભારતીય અધિવેશન, કોઇમ્બતુર ખાતે કરવામાં આવી હતી. અધિવેશનમાં સૌરાષ્ટ્રપ્રાંતમાંથી 34 કાર્યકર્તા ગયા હતા. તેમાં 8 સંસ્કૃત પરિવાર પણ સામેલ હતા. સમગ્ર દેશ વિદેશમાંથી સંસ્કૃત પ્રેમીઓ, વિદ્વાનો, શિક્ષણવિદો, સંસ્કૃતિ રક્ષકો, સંસ્કૃત કુટુંબોએ ભાગ લીધો હતો. આ તકે ઉપાધ્યક્ષા તરીકે ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક કરાઇ. જે ગુજરાતમાં સંસ્કૃત ભારતીની શરૂઆતથી જ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલા છે અને તેમણે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે અથાક પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત વર્ષ 2012થી 2024 સુધી તેમણે કેનેડામાં રહીને પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. વિદેશની ધરતી પર સંસ્કૃતના મૂલ્યો અને મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કાર્ય કરી તેમની આ સેવાઓએ સંસ્કૃત ભારતીના વૈશ્વિક વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્ત સેનાપતિજી, પ્રાંતમંત્રી પંકજભાઈ ત્રિવેદી, સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ, ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડિયા, વલ્લભભાઈ સીદપરા, કોષાધ્યક્ષ પંકજભાઈ પાંચાણી, પ્રાંત ગણના સદસ્યો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:16 am

181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સહાય:તરછોડાયેલી મહિલા માનસિક અસ્વસ્થ, નારી ગૃહમાં મોકલાશે

એક જાગૃત નાગરિક દ્વારા 181 પર ફોન આવ્યો કે, એક મહિલાને મકાન માલિકને ભાડું ન ચૂકવતા કાઢી મૂકી છે અને તેના પરિવારમાં પણ કોઈ છે નહીં માટે મદદની જરૂર છે. તેથી તાત્કાલિક જેતપુર સ્થિત 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મહિલાને સૌ પ્રથમ સાંત્વના સહ આશ્વાસન આપી ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં પીડિતા જણાવે છે કે, હું એકલી ભાડે રહું છું અને પરિવારમાં માતા-પિતાનો છાયો ગુમાવી દીધો છે અને 18 વર્ષનો ભાઈ હોય પરંતુ તે અલગ રહે છે. વધુમાં તેમનાં લગ્ન પણ થયા હતા જે માત્ર દસ દિવસની અંદર છૂટા થઈ ગયાનું જણાવ્યું હતું. પીડિતાને તેમના ભાઈ સાથે રહેવા માટે સમજાવતા તેમને ત્યાં રહેવું ન હોય, આથી સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતગાર કરી હાલ પીડિતાની સુરક્ષા, સલામતી માટે આશ્રયની જરૂરિયાત જણાતા સખી વન સ્ટોપ સેન્ટર ગોંડલ ખાતે આશ્રય અપાયો છે. 181 ટીમના કાઉન્સેલર જિજ્ઞાસાબેન તેમજ WHC રેખાબેન અને પાઇલટ પીયૂષભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમના કાઉન્સેલર જિજ્ઞાસાબેનએ જણાવ્યું હતું કે, ત્યાંના સ્થાનિકો સાથે વાત કરતા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ 2-3 મહિનાથી જ ભાડે એકલા રહેતા હતા, પરંતુ તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આજુબાજુમાં ચોરી કરે તથા પુરુષોની પણ અવરજવર રહેતી હતી. તેથી મહિલાઓનું માનસિક સંતુલન ઠીક ન હોવાથી તેઓને ગોંડલ પાસેના માનસિક સુધાર આશ્રમ અથવા રાજકોટના નારી ગૃહ ખાતે મોકલાશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:16 am

લગ્નની સિઝન શરૂ:જાન્યુઆરી મહિનામાં શુક્રનો અસ્ત તથા પુરુષોત્તમ માસ હોવાથી મુહૂર્ત ઓછા

દેવદિવાળી બાદ લગ્નના મુહૂર્તોની શરૂઆત થતી હોય છે ત્યારે આજથી તા.16 નવેમ્બરના રોજ લગ્નની સિઝનની શરૂઆત થાય છે. ગયા વર્ષે પણ 16 નવેમ્બરથી લગ્નનું પહેલું મુહૂર્ત હતું. શહેરોની મુખ્ય બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લગ્નની સિઝન આવવાથી જુદી-જુદી ફેશન અને ટ્રેન્ડના વસ્ત્રો, જ્વેલરી માર્કેટ, પાર્ટી પ્લોટ, હોલ, કેટરર્સ, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, મહેંદી આર્ટિસ્ટ સહિતના વિવિધ ક્ષેત્રોની રોનક વધી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા મુહૂર્તો જોવા મળે છેેેેેેેેેેેેેેેે. જેમાં ગયા વર્ષે 69 લગ્નના મુહૂર્ત હતા જે આ વખતે 59 મુહૂર્ત છે. જેમાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શુક્રનો અસ્ત છે તથા ઉનાળામાં પુરુષોત્તમ માસ છે તેથી 10 જેટલા મુહૂર્ત ઓછા છે. આ ઉપરાંત કમુરતાં પહેલાં નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં માત્ર 11 મુહૂર્ત જોવા મળે છે. આ વર્ષે આગામી તા.23 જાન્યુઆરીના દિવસે વસંતપંચમી છેે, પરંતુ આ સમયે શુક્ર ગ્રહનો અસ્ત હોવાથી આ દિવસે પણ લગ્નનું મુહૂર્ત નથી. આ વર્ષે ફેબ્રુઆરી માસમાં વધારે મુહૂર્ત જોવા મળે છે. જ્યારે સૌથી ઓછા મુહૂર્ત ડિસેમ્બર માસમાં જોવા મળે છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, તા.15 ડિસેમ્બરથી ધનારક કમુરતાં બેસે છે અને 11 ડિસેમ્બરથી આખા જાન્યુઆરી માસ દરમિયાન શુક્ર ગ્રહનો અસ્ત હોવાથી જાન્યુઆરી માસમાં એક પણ લગ્નનું મુહૂર્ત નથી. આ વખતે ઓછા મુહૂર્ત હોવાથી જેના લગ્ન હોય તેના માતા-પિતા કે પરિવારની દોડધામ વધી ગઇ છે. તેમજ વાડી, હોલ કે પાર્ટી પ્લોટ અગાઉથી બુકિંગ થઇ જતા હોય છે ત્યારે અમુક પરિવારોને વેઇટિંગમાં પણ રહેવું પડતું હોય છે. આગામી તા. 19 એપ્રિલના દિવસે અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો દિવસ કહેવાય તેથી આ દિવસે પણ લગ્ન થઇ શકશે. ફેબ્રુઆરીમાં સૌથી વધારે મુહૂર્ત વસંતપંચમીના દિવસે લગ્નનું મુહૂર્ત નહીં

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:15 am

અમદાવાદના કર્મચારીની રાજકોટના યુવક સામે ફરિયાદ:ભેળસેળવાળા સોનાની બંગડી પધરાવી યુવકે 2.50 લાખની છેતરપિંડી આચરી

શહેરમાં એક યુવકે પોતાનું ગીરવે પડેલું સોનું વેચવા માટે ઈન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઈને અમદાવાદની સોનાની પેઢીના સંચાલકનો સંપર્ક કરી તેના કર્મચારીને રાજકોટ બોલાવ્યો હતો. જોકે કર્મચારીએ અહીં ગીરવે પડેલું સોનું છોડાવી હોટેલ જઈને જોતાં હોલમાર્ક ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુવકે પણ હાથ ઉંચા કરી દેતા 2.50 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ બનાવમાં અમદાવાદ રામદેવ જ્વેલર્સમાં નોકરી કરતાં મહેન્દ્રભાઈ અમથાજી પરમાર નામના યુવકે રાજકોટ રહેતા હરદીપસિંહ જાડેજા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 3/11ના તેઓ અમદાવાદ ખાતે નોકરી ઉપર હાજર હતા ત્યારે શેઠ ગોપાલસિંહ રાજપૂત દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ મારફતે આપણી જાહેરાત જોઈને ઇન્દ્રજિતસિંહ વાઘેલા નામના રાજકોટ રહેતા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને બેકમાંથી સોનું છોડવાનું છે. જે બાદ ઇન્દ્રજિતસિંહ વાઘેલાએ તારીખ 11/11ના મહેન્દ્રભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તેના મિત્ર હરદીપસિંહ જાડેજાની સોનાની બંગડીઓ રાજકોટ સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ આઈઆઈએફએલમાં ગીરવે પડી હોય જે છોડવાની છે. મહેન્દ્રભાઈ રાજકોટ આવતા તેઓનો સંપર્ક હરદીપસિંહ જાડેજા સાથે થયો હતો ત્યારે હરદીપસિંહે કહ્યું કે, ગીરવે પડેલી બંગડીઓનો કુલ વજન 53 ગ્રામ છે, જેમાંથી 10 ગ્રામ રબર બાદ કરતા 43 ગ્રામ સોનું છે અને આ બંગડી ચાર લાખમાં વેચવાની છે. મહેન્દ્રભાઈએ બંગડી ખરીદવા માટે રૂ.3.52 લાખ બેંક મારફતે આઈઆઈએફએલમાં જમા કરાવ્યા હતા. તેમજ વધારાના 48 હજાર રોકડ આપેલ અને બંને બંગડીઓ હોલમાર્ક જોઈને ખરીદી હતી. રાજકોટ હોટેલ પર પરત આવતા મહેન્દ્રભાઈને હોલમાર્ક ઉપર શંકા ગઈ હતી. જેથી તેઓએ ફરીથી અમદાવાદ સ્થિત પેઢીમાં ચેક કરાવતા હોલમાર્ક ખોટું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હરદીપસિંહ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, બંને બંગડીઓ લગ્નમાં આવી છે હવે તમે બંગડી લઈ લીધી છે તો તમારે જોવાનું. જોકે પરીક્ષણ કરતા સામે આવ્યું હતું કે, બંગડીમાં કુલ 1.50 લાખની કિંમતનું જ સોનું હોય બાકીનું ભેળસેળ હોવાનું ખુલ્યું હતું. આથી યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી હરદીપસિંહ જાડેજા વિરુદ્ધ અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના કર્મચારીની રાજકોટના યુવક સામે ફરિયાદ

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:14 am

NCERTના નકલી પુસ્તકોનો જથ્થો પકડાતાં CBSE સતર્ક:કેન્દ્રીય બોર્ડની શાળાઓ, વાલીઓને ‘અધિકૃત પુસ્તકો’ જ ખરીદવા સૂચના

શાળાઓ શરૂ થતાની સાથે જ પુસ્તકોની ખરીદીમાં ગેરરીતિની ઘટના સામે આવી છે. કેટલાક અનધિકૃત વિક્રેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ આપીને નકલી NCERT પુસ્તકો સપ્લાય કરવામાં આવતા હોવાની માહિતી મળતા જ CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) એક્શન મોડમાં આવી ગયું છે. બોર્ડે રાજકોટ સહિત દેશભરની તમામ સ્કૂલો અને વાલીઓને તાત્કાલિક અસરથી માત્ર અધિકૃત NCERT પુસ્તકો જ ખરીદવા માટે સખત સૂચના આપી છે. બોર્ડે જણાવ્યું છે કે, બજારમાં ઉપલબ્ધ નકલી પુસ્તકો ઓછી ગુણવત્તાવાળા હોય છે, જેમાં ઘણીવાર પ્રિન્ટિંગની ભૂલો અને વિષયવસ્તુમાં ખામીઓ જોવા મળે છે. આથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી નેગેટિવ અસર થઈ શકે છે. સ્કૂલોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે જાણકારી આપવી ફરજિયાત છે અને માત્ર અધિકૃત સ્ત્રોતોથી જ પુસ્તક ખરીદવાની ખાતરી કરવી જોઈએ. CBSE એ સ્કૂલોને સૂચના આપી છે કે સીધી ખરીદી કરતી વખતે માત્ર CBSE અને NCERT દ્વારા સમયાંતરે સૂચિત અધિકૃત સ્ત્રોતોથી પુસ્તક ખરીદવામાં આવે. સ્કૂલોને આ માટે અધિકૃત સ્ત્રોતોની યાદી પણ આપવામાં આવી છે. આ માધ્યમોથી પુસ્તકો ખરીદવા સૂચન હાલ જ પોલીસે નકલી પુસ્તકો પકડ્યાદિલ્હીમાં તાજેતરમાં 12,755 નકલી NCERT પુસ્તકો પકડાયા છે. યમુના વિહાર સ્થિત કનિષ્ક, પ્રીત વિહાર સ્થિત વિનોદ જૈન સહિતના આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન NCERT અધિકારીઓને પણ માહિતી આપવામાં આવી હતી. CBSE દ્વારા આ દિશાનિર્દેશ આપવાનો મુખ્ય હેતુ એ છે કે, વિદ્યાર્થીઓ પ્રમાણિક અને ગુણવત્તાયુક્ત પુસ્તકો દ્વારા જ અભ્યાસ કરે, જેથી તેમની શિક્ષણયાત્રા અસફળ ન બને.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:13 am

બીએલઓ શિક્ષકોની બબાલ:SIRની કામગીરીમાં જિલ્લાના 1500 શિક્ષક હોવાથી શિક્ષણ કાર્યને અસર

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (BLO – બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં શિક્ષકોને મૂકવા સામે તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહાસંઘે તા. 15-11એ સાંજે 4 કલાકે કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થી શિક્ષકો અને શિક્ષણ ને અસર થતા મેદાન પર ઉતર્યા છે. આથી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને થતા અન્યાયના મુદ્દે શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શિક્ષક મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ગુલામી પ્રથા જેવું વર્તન, બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત બીએલઓની કામગીરી માટે જિલ્લાના 1500થી પણ વધારે શિક્ષક જોડાયેલ છે. આ કામગીરી 90 ટકાથી વધારે શિક્ષકોને જ હુકમ આપવામાં આવે છે. જે બાબત પણ શિક્ષકોમાં ભારે રોષ પેદા કરી રહી છે. આગામી સમયમાં અન્ય 12 કેડરમાંથી પણ બીએલઓની કામગીરીની વહેંચણી કરવા બાબતે પણ રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણને કારણે રાજ્યમાં બીએલઓની ધરપકડ થવાના બનાવો પણ નોંધાયા છે. જે અત્યંત ગંભીર બાબત છે. આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના તમામ સંવર્ગના કાર્યકર્તાઓ તેમજ બીએલઓ તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:13 am

6થી 18 વર્ષના શિક્ષણથી વંચિત બાળકોનો સર્વે હાથ ધરાયો‎:કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છોડનાર સહિતના બાળકો આવરી લેવાશે

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા જિલ્લામાં 6થી 18 વર્ષની શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરાશે. જેમાં 30-11-2025 સુધી જિલ્લામાં ધો.1થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા મૂકનાર અને દિવ્યાંગ સહિત બાળકોનો સર્વે કરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર શિક્ષણ અંતર્ગત 6થી 18 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શોધવા સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભરમાંથી ધો.1થી 12 સુધીનું કદી શિક્ષણ મેળવેલ નથી તેવા અને ધો.12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે જિલ્લાની તમામ શાળા મારફત હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લા ભરના દરેક તાલુકામાં તા.14-11-2025થી 23-11-2025 સુધી આ સર્વેમાં કરવામાં આવનાર છે. જે 30-11-2025 સુધીમાં જેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ અને જાહેર જનતાને સહભાગી થઇ આવા બાળકોને શિક્ષણમાં જોડવા અભિયાન હાથ ધરાશે. આથી આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, સીઆરસી કો-ઓર્ડીનેટર, તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર અથવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરીને કચેરી સમય દરમિયાન લેખિત, મૌખિક અથવા ટોલ ફ્રી નં. 1800-233-3153 ઉપર ટેલિફોનીક જાણ કરવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:08 am

રાજકોટમાં અનોખો વિરોધ:સમયસર સર્વિસ ન મળતા કારનો માલિક 2.30 કરોડની ગાડીને બળદગાડા સાથે બાંધી શો-રૂમ સુધી લઇ ગયો

મોંઘી કાર હોવા છતાં સમયસર સર્વિસ ન મળતા રાજકોટમાં એક કાર માલિકે અનોખી રીતે વિરોધ કર્યો છે. દોઢ વર્ષ પહેલાં આશરે રૂ.2 કરોડ 30 લાખમાં ખરીદેલી કારમાં થયેલી સમસ્યાઓ અંગે અનેક વાર શોરૂમમાં રજૂઆત કરવા છતાં યોગ્ય સર્વિસ ન મળતાં માલિકે પોતાની કારને બળદના ગાડા સાથે બાંધીને સીધા શોરૂમ સુધી લઈ ગયા. કાર માલિકના જણાવ્યા મુજબ, કારમાં આવેલા ફોલ્ટ અંગે કંપની પાસે લેખિત બાંહેધરી માગવામાં આવી હતી, પરંતુ સંતોષકારક નિવારણ ન મળ્યું. વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ પગલું ન ભરાતા વિરોધ સ્વરૂપે આ પગલું ભરવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું. તસવીર: પ્રકાશ રાવરાણી

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:07 am

પ્રદૂષણનું પુનરાગમન:વરસાદમાં નીચે બેસેલા પ્રદૂષક ફરી હવામાં ભળતા એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી 127એ પહોંચ્યો

હાલ વધતા જતા વાહનો, ઇન્ડસ્ટ્રીઝ, શહેરીકરણને લઇ મોટા શહેરોની હવા પ્રદૂષિત બની રહી છે. જેમાં હવે સુરેન્દ્રનગર જેવા નાના વિકસતા શહેરો પણ બાકાત નથી. હવામાં પ્રદૂષણનું પ્રમાણ (AQI) જો 0 થી 50 આંકની વચ્ચે હોય તો તેને ગ્રીન એલર્ટ મતલબ સારું ગણવામાં આવે છે. જયારે 51 થી 100 હોય તો મધ્યમ જેને યલ્લો એલર્ટ, 101 થી 150 સુધીનું હોય તો બિનઆરોગ્યપ્રદમાં આવે છે જેને ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ ઉપરાંત જો 151થી 200 હોય તો બિનઆરોગ્યપ્રદ રેડએલર્ટ કહેવાય, 201 થી 300 હોય તો અતિ બિનઆરોગ્યપ્રદ પર્પલ એલર્ટ, 300થી 500 હોય તો તેને મરુન એલર્ટ એટલે કે જોખમકારક ગણવામાં આવે છે.જિલ્લામા છેલ્લા કેટલાક દિવસો પહેલા સુધી, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેસનના કારણે વરસેલા પાછોતરા વરસાદે માત્ર ગરમીમાં જ ઘટાડો નહોતો કર્યો પરંતુ હવાની ગુણવત્તામાં પણ ધરખમ સુધારો કર્યો હતો. વરસાદ પૂર્વે સામાન્ય દિવસોમાં 120થી 125ની આસપાસ રહેતો AQI, વરસાદના કારણે ઘટીને માત્ર 57 સુધી પહોંચી ગયો હતો. ભેજવાળા વાતાવરણ અને વરસાદે વાહનોના ધુમાડા, ધૂળ અને કાર્બન કણો જેવા પ્રદૂષકોને જમીન પર બેસાડી દીધા હતા, જેના કારણે હવા શુદ્ધ થઈ હતી અને પ્રદૂષણ મધ્યમ ગ્રીન કેટેગરીમાં આવી ગયું હતું. જોકે, વરસાદ બંધ થતાં જ અને વાતાવરણ ફરી શુષ્ક બનતાની સાથે જ પ્રદૂષકોએ હવામાં પોતાનું સામ્રાજ્ય પુન:સ્થાપિત કર્યું છે. વરસાદ વખતે 100 ટકા પહોંચેલ ભેજ હાલ 50 ટકા જેટલો રહ્યો છે. આથી આંકડો હવે વધીને 127 નોંધાયો છે. પ્રદૂષણ વધુ જણાય તો બહાર નીકળો ત્યારે માસ્ક કે રુમાલનો ઉપયોગ કરવોશિયાળામાં શ્વાસના દર્દીને મુશ્કેલી રહે છે. ઠંડી ઋતુમાં ફેફસા સંકોચાય કોઇને એલર્જી હોય તો હવા પાતળી થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય. ઠંડીમાં સ્નાયુ સંકોચાતા શ્વાસની તકલીફ હોય તો તાત્કાલીક ઠંડીમાં ન જવું. નિયમિત રીતે દવા લેવી. જો પ્રદૂષણવાળું વાતાવરણ હોય તો રૂમાલ - માસ્કનો ઉપયોગ કરવો. જોગિંગ - વોકિંગ ખૂલ્લી જગ્યામાં કરવું. ધુમ્રપાન ના કરવું.જો વધારે તકલીફ જણાય તો સારવાર લેવી જોઇએ. { બી.જી.ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી શિયાળામાં ધૂમ્મસના કારણે ધુમાડો નીચે રહેશિયાળામાં ભેજ અને ધૂમ્મસના કારણે સવારે ધૂમ્મસ જેવું વાતાવરણ રહેતા કાર્બન ઉત્સર્જન ડીસ્પોઝલ ન થતા તે નીચે રહેતા આવી એક્ટિવિટી થાય છે. આમ વધતા ભેજ અને શુષ્ક વાતાવરણ વચ્ચે ધુમાડો હવામાં ભળી રહેતા સ્વાસ્થયને નુકશાનકારક ધુમાડો નીચે રહે છે. { સી. એન. દસાડીયા, વિજ્ઞાન શિક્ષક શ્વાસના દર્દીઓમાં 10થી 12 ટકા વધારો થાયહાલ જિલ્લામાં 108માં નિયમિત કરતા એકથી દોઢ ગણા શ્વાસના દર્દીઓનો વધારો રહે છે. જેમાં રોજના 9 થી 10 કેસ સામે આવે છે. જેમાં અંદાજીત 10 થી 12% જેટલો શિયાળાના દિવસોમાં વધારો થાય છે. { રોહિત મકવાણા, 108ના જિલ્લા મેનેજર

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:06 am

સન્ડે ફોટો સ્ટોરી:કાલાવડ રોડ પરનું આ સર્કલ ગેરકાયદે છે, પણ તોડી શકે તેવા કોઇ જાંબાઝ અધિકારી નથી

કાલાવડ રોડ પર કોટેચા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ તરફ કોઇ વાહનચાલક નીકળે તો તેઓને એક અલગ પ્રકારનું જ, ટ્રાફિકને અડચણ થાય તેવું અને અકસ્માત નોતરે તેવું સર્કલ જોવા મળશે. આ સર્કલ જીપીએમસી એક્ટ મુજબ પણ ખોટી રીતે ખડકી દેવાયું છે. આ સર્કલ સંદર્ભે મહિલા કોલેજ અન્ડરબ્રિજથી રૈયા રોડ સુધીની સોસાયટીમાં રહેતા લોકોએ પણ અનેક વખત રજૂઆત કરી છે. આમ છતાં કોઇ ઉકેલ આવતો નથી. સામાન્ય વ્યક્તિ કોઇ સામાન્ય ભૂલ કરે ત્યારે કાયદા મુજબ કાર્યવાહીનો આગ્રહ રાખતા સરકારી અધિકારીઓ આ સર્કલ ગેરકાયદે હોવા છતાં તોડી શકતા નથી. ત્યારે અહિંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે, માત્ર સામાન્ય લોકો સામે જ કાર્યવાહી કરતા ક્લાસ-1 અને સુપર ક્લાસ-1 અધિકારીઓને જાંબાઝ કરી શકાય ? જો હા, તો તેઓએ આ સર્કલ તોડી નાખવું જોઇએ. 14 નવેમ્બર, 2024ના રોજ પૂર્વ મ્યુનિ. કમિશનરે તોડવાનો હુકમ કર્યો હતોરાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દેસાઇના હુકમથી કાલાવડ રોડ પરનું આ અટપટું અને વિચિત્ર સર્કલ તોડી નાખવાનો 14 નવેમ્બર, 2024ના રોજ સિટી એન્જિનિયરે હુકમ કર્યો હતો. જો કે આ હુકમને આજે 1 વર્ષથી વધુનો સમય પસાર થઇ ગયો છે, પરંતુ કોઇ કારણોસર મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસેનું આ સર્કલ તોડાતું નથી. ​​​​​​​

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:06 am

સન્ડે બિગ સ્ટોરી:3 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા, હવે RTIમાં ખુલાસો થયો કે ફરજિયાત નથી

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ સૌરાષ્ટ્રભરમાં યુદ્ધના ધોરણે લગભગ 3 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવી દેવાયા બાદ એક RTI (માહિતી અધિકાર કાયદા)માં થયેલા ખુલાસાએ વીજગ્રાહકોમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. PGVCLના જ અધિક્ષક ઈજનેરે RTIના જવાબમાં સ્વીકાર્યું છે કે, સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી, તેમજ જૂના ચાલુ મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવા અંગે કોઈ ચોક્કસ ગાઈડલાઈન કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. આમ, કંપનીએ લાખો ગ્રાહકોના ઘરે મીટર બદલી નાખ્યા પણ તેની પાસે ફરજિયાતપણાનો કે ગાઈડલાઈનનો કોઈ આધાર જ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી કંપનીની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખંભાળિયાના દામાભાઈ ચૌહાણે કરેલી આરટીઆઈના જવાબમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી કે.એન.કરમુરે વિગતો આપી છે. સૌરાષ્ટ્રમાં વીજવિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા પીજીવીસીએલ દ્વારા ઝડપથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં આશરે 3 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં સ્માર્ટ મીટર બદલવાના કિસ્સાઓ નોંધાયા છે. અનેક ગ્રાહકોના જણાવ્યા મુજબ, પૂર્વ જાણ કર્યા વિના જ તેમના મીટર બદલી નાખવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ વિદ્યુત કર્મીઓએ મૌખિક રીતે ‘મીટર ફરજિયાત બદલવાનો ઓર્ડર છે’ એવું કહીને જૂના મીટરને બદલે સ્માર્ટ મીટર નાખી દીધા હતા.સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ગ્રાહકોની ધરાર મીટર બદલી નાખવાની ફરિયાદો સામે આવી છે. ઘણા વિસ્તારોમાં ગ્રાહકોના જૂના મીટર બિલકુલ યોગ્ય હોવા છતાં, PGVCLના સ્ટાફે ‘ઉપરથી આદેશ છે’, ‘ફરજિયાત છે’ કહીને મીટર બદલી નાખ્યાના કિસ્સા નોંધાયા છે. નવા સ્માર્ટ મીટર લાગ્યા બાદ અનેક ગ્રાહકોને અસામાન્ય રીતે ઊંચા વીજબિલ આવવાની ફરિયાદો સામે આવી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ છે. સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મીટરના નામે ચાલી રહેલી ગેરસમજ અને વિવાદો વચ્ચે PGVCLના જ RTI જવાબથી સ્પષ્ટ થયું છે કે, મીટર બદલવું ફરજિયાત નથી. ત્યારે, કંપની ક્યા આધારે લાખો ગ્રાહકોના મીટર બદલી રહી છે તે એક મોટો સવાલ છે. સ્માર્ટ મીટર લગાવવાની ચર્ચા અને નિર્ણય વિધાનસભામાં થઇ ગયો છેસ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ચર્ચા અને નિર્ણય વિધાનસભામાં થઇ ગયો છે અને ત્યારબાદ જ રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અરજદારે કરેલી આરટીઆઈમાં જવાબમાં અધિકારીએ જે કહ્યું છે તે બરાબર છે. સ્માર્ટ મીટર ફરજિયાત હોવાનો હુકમ કોર્ટ ન કરે તે વિધાનસભામાં નિર્ણય થયો છે. ગ્રાહકોમાં સ્માર્ટ મીટર અંગે જાગૃતિ આવે તેના માટે ડિસેમ્બરમાં અમે સૌરાષ્ટ્રભરમાં જાગૃતિ કાર્યક્રમો પણ કરવાના છીએ. > કે.પી. જોષી, મેનેજિંગ ડિરેક્ટર, પીજીવીસીએલ પીજીવીસીએલના જ એક ગ્રાહકે RTIમાં માગેલી માહિતીનો વીજકંપનીના અધિક્ષક ઈજનેરે આપેલો જવાબ શબ્દશઃ 1. ગ્રાહકના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા પીજીવીસીએલને આપેલ નથી તેથી તેની નકલ ઉપ્લબ્ધ નથી. 2. ચાલુ જૂના મીટરની જગ્યાએ નવું સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે તેવી કોઈ ગાઈડલાઈન કે હુકમ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપેલ નથી. તેથી તેના હુકમની ખરી નકલ ઉપ્લબ્ધ નથી. 3. જૂના મીટર ચાલુ હોય અને તેની જગ્યાએ નવા સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે તેવો ગ્રાહક સુરક્ષા અધિનિયમનો કોઈ હુકમ આવેલ નથી. તેથી તેના હુકમની ખરી નકલ ઉપ્લબ્ધ નથી. કિસ્સો-1 | ફ્લેટ, દુકાનોમાં બારોબાર સ્માર્ટ મીટર લગાવી દેતા દેકારો થયો’તોશહેરના કેટલાક ફ્લેટમાં નીચે ફિટ કરાયેલા જૂના મીટરની જગ્યાએ ગ્રાહકોને પૂછ્યા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવાતા દેકારો થયો હતો. આ ઉપરાંત શહેરના કેટલાક કોમર્સિયલ કોમ્પ્લેક્સમાં પણ જ્યાં એકસાથે બધી દુકાનોના મીટર લગાવેલા હોય છે ત્યાં ગ્રાહકને જાણ કર્યા વિના સ્માર્ટ મીટર ફિટ કરી દેવાના પ્રયાસનો પણ ગ્રાહકોએ વિરોધ કર્યો હતો. સોલાર ગ્રાહકોને તો હાલ ફરજિયાત પણે સ્માર્ટ મીટર જ ફિટ કરી દેવામાં આવે છે તેની સામે પણ ઘણા ગ્રાહકોએ વાંધો ઉઠાવ્યો છે. કિસ્સો-2 | વીજગ્રાહકને ઘેર વીજળી ગુલ થઇ, સ્ટાફે કહ્યું,‘સ્માર્ટ મીટર લગાવશો તો જ લાઈટ આવશે’‘લક્ષ્મીવાડી વિસ્તારમાં એક વીજગ્રાહક સાથે PGVCLની તાનાશાહી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રાહકના ઘરે વીજમીટરમાં ખામી થતાં સ્ટાફ મીટર બદલવા પહોંચ્યો હતો, પરંતુ સીધું જ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા માટે દબાણ કરાયું. સ્ટાફે આવીને કહ્યું,‘મીટર ખરાબ છે, હવે સ્માર્ટ મીટર લગાવશો તો જ લાઈટ આવશે’ ગ્રાહકે વિરોધ કરતાં સ્પષ્ટ કહી દીધું કે,‘લાઇટ ન આવે તો ચાલશે, પણ હું સ્માર્ટ મીટર નહીં નખાવું’. રાત્રે લાઇટ ગુલ થતા PGVCLમાં ફરિયાદ નોંધાવી હતી. સ્ટાફે આવીને મીટરમાં ખામી હોવાનું જણાવી મીટર બદલવાની વાત કરી, પરંતુ પછી સ્પષ્ટ કહી દીધું કે,‘સ્માર્ટ મીટર નખાવો નહીં તો લાઈટ નહીં મળે.’ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોજ આશરે 1000 સ્માર્ટ મીટર ફિટ કરાય છે: ફરજિયાત હોવાનું કહી વીજકર્મીઓ ધરારથી સ્માર્ટ મીટર લગાડી દે છે

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:04 am

અપમૃત્યુનો બનાવ:રિવરફ્રન્ટ રોડ પર રેલવે ઓવરબ્રિજ પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત

સુરેન્દ્રનગરમાં અવારનવાર અપમૃત્યુના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવો વધુ એક બનાવ શનિવારે બનવા પામ્યો હતો. જેમાં શનિવારે સવારના સમયે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજ પર ટ્રેનની અડફેટે એક યુવાન આવી જતા યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. જ્યારે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃકના મૃતદેહનો કબજે લઇ પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે આ યુવાન કોણ હતો તેમના પરિવારજનો કોણ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 7:02 am

ફરિયાદ:શિનોરના કંજેઠા ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા બાબતે ઝઘડો કરી હુમલો કરતા ચારને ઈજા

શિનોર તાલુકાના કંજેઠા ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા બાબતે ઝઘડો થતાં સાત આરોપીઓ સામે ફરિયાદીએ શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. વડોદરા દવાખાનેથી ફરિયાદી અનિરુદ્ધ ઉર્ફે, અનિલ ઉર્ફે અનુભાઈ દેવેન્દ્ર અટોદરીયા દ્વારા લખાવેલ ફરિયાદ મુજબ તેઓ તારીખ 14 નવેમ્બરે અંબાલી જવાના રોડ ઉપર અરજણિયા તરીકે ઓળખાતા ખેતરમાં સાહેદ જયરાજ રણા તથા વછરાજસિંહ રણા સાથે ખેતીમાં ઘઉં બાબતે ચર્ચા કરતા હતા. ત્યારે જીતસિંહ રામસિંહ શિનોરા ખેતરમાં આવીને જેમતેમ ગાળો આપી જણાવેલ કે જવાનો રસ્તો બંધ કર્યો હોવાથી ટ્રેક્ટર લઈને જતા મારા દીકરાને મધમાખી કરડે છે. આ રસ્તો ખુલ્લો કરી દે નહીં તો જોવા જેવી થશે. એમ કહીને જતો રહ્યો હતો. ત્યારબાદ જીતસિંહ તથા મહેન્દ્રસિંહ રામસિંહ, સત્યજીત મહેન્દ્રસિંહ, રણજીત રામસિંહ, યશપાલ જીતસિંહ, વિરાજસિંહ મહેન્દ્રસિંહ અને અનિરુદ્ધ મહેન્દ્રસિંહ હાથમાં ધારીયા, લોખંડની પાઇપો અને લાકડીઓ લઈને ખેતરે આવી તેઓને મારવા લાગ્યા હતા. તે વખતે છોડાવવા માટે જયરાજ તથા વછરાજસિંહ વચ્ચે પડતા તેઓને પણ માર્યા અને મહાવીર દેવેન્દ્રસિંહને પણ માર્યા હતા. જતાં તેઓ લાલ વેગન આર અને નાનું સ્વરાજ ટ્રેક્ટર લઈને ભાગી ગયા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અનુભાઈ અટોદરીયાએ ગામમાં મહાવીરસિંહ, હંસરાજસિંહ તથા વિશ્વજીતસિંહને જાણ કરતા તેઓએ આવીને અમોને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી જીતસિંહ તથા અનિરુદ્ધ અને વછરાજ સિંહને વડોદરા ખાનગી મંગલમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મારામારી દરમિયાન ગળાની ચેન ગુમ થયેલ છે. શિનોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:57 am

અકાસા એર લાવશે પ્રથમ વાણિજ્યિક ઉડાન:નવી મુંબઈનું આં.રા. એરપોર્ટ 25 ડિસેમ્બરથી ધમધમતું થશે

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ) 25 ડિસેમ્બર, 2025થી સત્તાવાર રીતે વાણિજ્યિક ઉડાનો માટે ખુલ્લો મૂકાશે. અકાસા એર આ નવા એરપોર્ટ પર પહેલી ઉડાન કરશે, જે દિલ્હીથી નવી મુંબઈ પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરના એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને એનએમઆઈએ દેશનું એક મહત્વપૂર્ણ હવાઈ હબ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનએમઆઈએ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. કુલ 1,160 હેક્ટર વિસ્તારમાં બનેલો આ એરપોર્ટ પ્રથમ તબક્કામાં દર વર્ષે 2.5 કરોડ મુસાફરોને સેવા આપી શકશે, જ્યારે તમામ તબક્કા પૂર્ણ થયા પછી તેની ક્ષમતા 90 મિલિયન મુસાફરો સુધી પહોંચશે. એરપોર્ટમાં દરરોજ 60 થી 300 જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ થશે. એરપોર્ટના વિકાસમાં અદાણી ગ્રુપ 74% અને સીડકો 26% હિસ્સો ધરાવે છે. એનએમઆઈએનું નામ ખેડૂત નેતા ડી. બી. પાટિલ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે નવી મુંબઈ જમીન સંપાદન સમયે વિસ્થાપિત ખેડૂતોના હક્કો માટે મહત્વપૂર્ણ લડત લડી હતી. મુંબઈ–નવી મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં વધતી મુસાફરોની સંખ્યા અને ભીડભાડને ધ્યાનમાં રાખી એનએમઆઈએ મુંબઈ એરપોર્ટનો ભાર હળવો કરશે અને પશ્ચિમ ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવા આયામ આપશે. એઅરલાઈન્સની શરૂઆતઅકાસા એર, ઇન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આગળ - 25 ડિસેમ્બરથી અકાસા એર દિલ્હી–નવી મુંબઈ રૂટ પર પ્રથમ વાણિજ્યિક ઉડાન શરૂ કરશે. તે જ દિવસે ગોવા રૂટ પર પણ ઉડાનો શરૂ થશે. 26 ડિસેમ્બરથી દિલ્હી–કોચી અને 31 ડિસેમ્બરથી અમદાવાદ માટે જોડાણ શરૂ થશે. અકાસા એર પ્રથમ દોરમાં ચાર મુખ્ય શહેરોને એનએમઆઈએ સાથે સીધા જોડશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:56 am

સિટી એન્કર:હવે દરેક ફ્લેટ માલિકને સોસાયટીની જમીનમાં ભાગ મળશે

અત્યાર સુધી નિવાસી ઈમારતોની જમીન હાઉસિંગ સોસાયટી અથવા સભ્યોના સહિયારા નામ પર નોંધવામાં આવતી હતી. હવે ઈમારતમાં રહેતા દરેક રહેવાસીને સ્વતંત્ર માલિકી હકનો કાયદાકીય પુરાવો મળશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ લાવવાની છે. આ કાર્ડ દ્વારા દરેક ફ્લેટધારકને જમીનમાં વ્યક્તિગત ભાગ મળશે અને સાતબારા ઉતારામાં પણ એનું નામ ચઢશે. વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ એક પૂરક મિલકતપત્ર છે જે મુખ્ય પ્રોપર્ટી કાર્ડ સાથે દરેક ફ્લેટધારકને વ્યક્તિગત રીતે આપવામાં આવશે. ઈમારતનો કુલ એરિયા અને દરેક ફ્લેટધારકનો એમાં ભાગ નોંધવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડવાળી ઈમારત સાથે જ સાતબારા ઉતારા પર નોંધેલી ઈમારતોને પણ વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ લાગુ થશે. એના લીધે હાઉસિંગ સોસાયટીઓ અથવા એપાર્ટમેંટના દરેક રહેવાસીને જમીનનો સ્વતંત્ર માલિકી હક મળશે જે કાયદાકીય રીતે અબાધિત રહેશે. કોઈ ઈમારત 10 નિવાસી ઘરની હશે અને એની જમીન 5 હજાર સ્કવેર ફૂટ હશે તો મુખ્ય પ્રોપર્ટી કાર્ડ પર સોસાયટીનું નામ હશે. પણ વર્ટિકલ કાર્ડ દ્વારા દરેક ફ્લેટધારકને તેમના ભાગના એરિયાની નોંધ મળશે એટલે કે 500 સ્કવેર ફૂટ જમીનનો ભાગ મળશે. વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ આપવા સંદર્ભે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરી છે. મહેસૂલ વિભાગના અપર મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ આ સમિતિ કામ કરશે અને એક મહિનાની અંદર સરકારને અહેવાલ આપશે. કાર્ડ ડિજિટલ સ્વરૂપમાંવર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ ડિજિટલ સ્વરૂપમાં હશે જેના લીધે એક સ્પેનમાં ઈમારતની સંપૂર્ણ માહિતી, ફ્લેટ નંબર, એરિયા, માલિક હકની ખબર પડશે. મહારાષ્ટ્રમાં 10 લાખ કરતા વધારે હાઉસિંગ પ્રોજેક્ટ છે જેમાંના અનેક રહેવાસીઓ હજી પણ માલિકી હકના પુરાવા માટે ઝઘડી રહ્યા છે. આ કાર્ડ લાગુ થવાથી નવા પ્રકલ્પમાં બેંક તરફથી લોન મંજૂરી અને રિયલ એસ્ટેટ વ્યવહાર ઝડપી થશે. ઈમારતમાં રહેતા તમામ રહેવાસીઓના નામ સાતબારામાં આવવા માટે વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડ મહત્વનું બનશે. પહેલા તબક્કામાં પ્રોપર્ટી કાર્ડવાળી હાઉસિંગ સોસાયટીઓને આ કાર્ડ આપવામાં આવશે. બીજા તબક્કામાં દરેક ફ્લેટધારકને વ્યક્તિગત કાર્ડ મળશે. રહેવાસીઓને મળનારા ફાયદાઆ કાર્ડ વ્યક્તિગત માલિકી હકનો કાયદેસરનો પુરાવો રહેશે. ફ્લેટ વેચાણ માટે મહાપાલિકાની કર પાવતી અને સેલ એગ્રીમેન્ટ પૂરતો છે પણ જમીનનો હક સાબિત કરવા સોસાયટી પર આધાર રાખવો નહીં પડે. બેંક લોન, પ્રોપર્ટી ટ્રાન્સફર અથવા વારસા પ્રમાણપત્ર માટે કોઈ અડચણ નહીં રહે. દરેકનો ભાગ સ્પષ્ટપણે નોંધવામાં આવશે. સાતબારા ઉતારા પર દરેકનો ભાગ સ્પષ્ટપણે નોંધાવાથી સોસાયટીના વ્યવસ્થાપનમાં કોઈ ગેરવ્યવહાર અથવા જમીનના હક પરથી થતા વિવાદ ઓછા થશે. સિટી એન્કર

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:54 am

દુર્ઘટના સર્જાઈ:ભાયખલામાં બાંધકામ સ્થળે દુર્ઘટનામાં બે મજૂરોનાં મોત

ભાયખલા (પશ્ચિમ) ખાતે હંસ રોડ પર આવેલા હબીબ મેન્શઆનમાં શનિવારે બપોરે આશરે 2.41 વાગ્યે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે મજૂરોનાં મોત થયાં છે, જ્યારે ત્રણ અન્ય મજૂરો ઘાયલ થયા છે. ઘટના ત્યારે બની જ્યારે ઈમારતના પાયા અને ઢગલાબંધ માટી સેટિંગના કામ દરમિયાન અચાનક માટી અને કાદવનો ભાગ ધસી પડી મજૂરોને પોતાની લપેટમાં લઈ ગયો. દુર્ઘટના બાદ કામ પર હાજર અન્ય મજૂરો અને ફાયર બ્રિગ્રેડ દ્વારા તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને પાંચેય ઘાયલોને નાયર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. નાયર હોસ્પિટલની એએમઓ ડૉ. પૂનમે માહિતી આપતા જણાવ્યું કે પાંચમાંથી બે મજૂરોને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે ત્રણ ઘાયલ મજૂરોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં મૃતક મજૂરો રાહુલ (વય 30), રાજુ (વય 28) તરીકે ઓળખ થઇ છે. જ્યારે સજ્જાદ અલી (વય 25), સોબત અલી (વય 28),. લાલ મોહમ્મદ (વય 18) ઘાયલો થયા છે. અકસ્માત પછી બાંધકામ સાઇટ પર કામદારોને પૂરાં પાડવામાં આવતા સલામતી સાધનો અને સુરક્ષા પગલાં અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યાં છે. પ્રાથમિક તપાસમાં લાગે છે કે માટીનો ભાગ યોગ્ય રીતે સેફટી સપોર્ટ વગર રાખવામાં આવ્યો હતો, જેને કારણે તે ધસી પડ્યો હોવાની શંકા છે. સ્થાનિક પોલીસએ ઘટના સ્થળનો પંચનામો કરીને વધુ તપાસ શરૂ કરી છે. બાંધકામ કંપની દ્વારા સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:54 am

કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત:આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પાર્ટી સ્વબળે જ લડશે

કોંગ્રેસ પાર્ટીએ શનિવારે જાહેર કર્યું છે કે, તે આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સ્વબળે લડશે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે મનસે અથવા અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવા નો કોઈ પ્રશ્ન જ નથી.મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ જાહેરાત કરી કે, કોંગ્રેસ તમામ 227 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. સ્થાનિક કાર્યકરોની માંગને માન આપીને આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મનસે સાથે ગઠબંધન બનાવવા ઈચ્છતા ઉદ્ધવ ઠાકરેને રાજકીય ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે પણ સ્પષ્ટ કર્યું કે, પક્ષ એવા જૂથો સાથે નહીં જાય જે મારપીટ, દમન અથવા કાયદો હાથમાં લેવાની રાજનીતિ કરે છે. મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક મોટો રાજકીય નિર્ણય જાહેર કર્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ ચૂંટણી પોતાના દમ પર લડશે અને રાજ ઠાકરેની મનસે સાથે કોઈ ગઠબંધન નહીં કરે. આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે તેઓ મનસે સાથે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના નવા વિસ્તરણનો પ્રયાસ કરી રહ્યા હતા. મુંબઈ કોંગ્રેસનો એક દિવસીય કેમ્પ શનિવારે યોજાયો, જેમાં શહેરના તમામ પદાધિકારીઓએ તમામ 227 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની માંગ કરી હતી. કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ જાહેરાત કરી કે, મુંબઈની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક કાર્યકરોની ભાવના મહત્વની છે. તેમની ઇચ્છાને માન આપીને અમે તમામ બેઠકો પર પોતાના બળથી ઉતરીશું. તેમણે ઉમેર્યું કે પાર્ટીનું મુખ્ય ધ્યેય ભવિષ્યમાં કોંગ્રેસને મજબૂત બનાવવાનું છે. વર્ષા ગાયકવાડનું મનસે સામે આક્રમક વલણકોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ એવા પક્ષો સાથે જઈ શકશે નહીં જેઓ મારપીટ અથવા કાયદો હાથમાં લેવાની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટી બંધારણીય મૂલ્યોનું પાલન કરે છે. અમે સૌને સાથે લઈને ચાલવાનું માનીએ છીએ. મારકૂટની સંસ્કૃતિ કોંગ્રેસમાં સ્વીકાર્ય નથી. તેઓએ મનસેની રાજનીતિ પર સીધી ટીકા કરતાં જણાવ્યું કે નાના વેપારીઓ, હોર્કસ, સમોસા વેચનારાઓ પર દાદાગીરી કરવાનો અભિગમ કોંગ્રેસ માટે અસ્વીકાર્ય છે. વર્ષા ગાયકવાડે વધુમાં ઉમેર્યું કે, ઉદ્ધવ ઠાકરે એક સ્વતંત્ર પક્ષ છે, તેઓએ પોતાનો નિર્ણય પોતે લેવો જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ હવે નિર્ણય લેવો પડશેકોંગ્રેસના સ્પષ્ટ નિવેદન પછી હવે શિવસેના (ઠાકરે જૂથ) માટે રાજકીય સમીકરણો કઠિન બનશે. મનસે સાથેના તેમના વધતા સંપર્કો સામે કોંગ્રેસે સ્પષ્ટ રેખા દોરી દીધી છે. હવે ઉદ્ધવ ઠાકરેએ નક્કી કરવું પડશે કે તેઓ એમવીએનો પરંપરાગત માર્ગ પસંદ કરશે કે મનસે સાથે રાજકીય સમીકરણ બાંધશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:53 am

પ્રેસ કોન્ફરન્સ:ખાસ સઘન સુધારણા કાર્યક્રમને સફળ‎બનાવવા ચૂંટણી અધિકારીની અપીલ‎

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થનાર ખાસ કેમ્પ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું કે, મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા. 4 નવે.થી 4 ડિસે. દરમિયાન (BLO) ફરીને એન્યુમરેશન ફોર્મ (Efs-ગણતરી ફોર્મ) ભરાવશે. અને ભરેલ ફોર્મ પરત મેળવશે. 9 ડિસેમ્બર-2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. તા.9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2026 દરમિયાન મતદારો સુધારા માટેનો દાવો, વાંધા અરજી કરી શકશે. તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એમ જણાવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે તા. 15, 16, 22 અને 23 નવેમ્બર 2025ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે. સવારે 9 થી બપોરના 1 કલાક સુધી BLO તેમના મતદાન મથક પર હાજર રહેશે. મતદારો BLOની મદદથી વર્ષ 2002ની મતદારયાદીમાં પોતાનું નામ શોધી શકશે. મતદાર પોતાનું Enumeration Form Voters.eci.gov.in ની વેબસાઈટના માધ્યમથી Online ભરી શકશે તેમજ પોતાના મતદાન મથકના BLO સંપર્ક કરવા માટે Book a Call With BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. મતદારો પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં.6, સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં.8 જરૂરી પુરાવા તેમજ Declaration Form સાથે ભરી આપના બી.એલ.ઓ.ને જમા કરાવવાનું રહેશે તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા અર્થે જરૂરી પુરાવા સાથે ફોર્મ નં.7 ભરવાનું રહેશે. તમામ મતદારોને અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું કે, ખાસ સઘન સુધારણા (SIR)માં 100 ટકા ફોર્મ ભરીએ જેથી કરીને કોઈપણ લાયક મતદાર રહી ન જાય” અને “કોઈપણ ગેરલાયક મતદારનો સમાવેશ ન થાય” એને ધ્યાને રાખી ખાસ સઘન સુધારણા (SIR) સફળ બનાવીએ એમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:53 am

શીતલ તેજવાનીને નિવેદન નોંધાવવા બોલાવાઈ:પાર્થ પવારને સંડોવતા જમીન કૌભાંડમાં મહિલાને સમન્સ

રાજ્યમાં હાલમાં ગાજી રહેલા ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારને સંડોવતા જમીન કૌભાંડમાં હવે શીતલ તેજવાનીને પોલીસે સમન્સ પાઠવ્યા છે. શીતલને આ મામલામાં નિવેદન નોંધાવવા માટે હાજર થવા પોલીસે જણાવ્યું છે નોંધનીય છે કે પુણેના કોંઢવામાં રૂ. 40 કરોડની સરકારી જમીનનો આ વ્યવહાર વિવાદ પછી હવે રદ કરાયો છે. 300 કરોડના આ જમીન કૌભાંડમાં પાર્થ પવારની કંપનીને સંડોવણીનો આરોપ છે. આ જમીનની પાવર ઓફ એટર્ની તેજવાની પાસે હતી, જે પછી પાર્થ પવારની કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને વેચવામાં આવી હતી.આ સોદામાં શીતલનું નામ આવ્યા પછી તે ગાયબ થઈ ગઈ હતી. હવે આ પ્રકરણની તપાસ શરૂ કરાઈ હોવાથી શીતલને પોલીસ સામે હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના કાર્યાલય દ્વારા આ પ્રકરણમાં એફઆઈઆર દાખલ કરાઈ છે, જેમાં અમેડિયા એન્ટરપ્રાઈઝીસના સહ- ભાગીદાર દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની અને સબ- રજિસ્ટ્રાર આર બી તરુના નામ નોંધવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ ઉચાપત અને છેતરપિંડીનો આરોપ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેજવાનીને નોટિસ જારી કરવામં આવી છે. આ નોટિસ તેના મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં કાર્યાલયમાં આપવામાં આવી હતી, જ્યારે પિંપરી- ચિંચવડ વિસ્તારમાં તેના ઘરે પણ નોટિસ જારી કરવામાં આવી છે. શીતલને તેની વિરુદ્ધ દાખલ કેસમાં નિવેદન નોઁધાવવા માટે બોલાવવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું,

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:53 am

પરિવારના સ્નેહમિલનમાં હાર્ટ એટેકથી મૃત્યુ:લોનાવાલામાં ધાર્મિક તપસ્યા સમયે કચ્છી યુવતીની જીવનયાત્રાનો અંત

ભાંડુપમાં રહેતા ધાર્મિક પરિવારની 32 વર્ષની પુત્રી ભૂમિ સોની પરિવારના સ્નેહમિલન પ્રસંગે લોનાવાલા ખાતે ભેગા થયેલા કુંટબીજનોને મળી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતાં શનિવાર સવારે નિધન થયું હતું. પરિવારના હિતેનભાઈ સોનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે બધા પરિવારજનો લોનાવાલા ખાતે સ્નેહમિલન પ્રંસગે એકઠા થયા હતા, મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લુણી ગામના અને ભાડુંપમાં રહેતા દીપકભાઈનો પરિવાર પણ આ પ્રસંગે લોનાવાલા આવ્યો હતો, દીપકભાઈ સોનીની 3 દીકરી પૈકીની ભૂમિ સોનીનું જૈનોના મહાતપ વર્ષીતપની તપસ્યા શરૂ હતી. શનિવારે તેનો ઉપવાસ હતો. સવારે 9:30 કલાકે પરિવારજનોની મુલાકાત દરમિયાન ભૂમિ અચાનક ચક્કર આવતાં પડી ગઈ હતી. પરિવારજનોએ તુંરત નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. એ પછી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તેમાં પ્રાથમિક અહેવાલમાં ભૂમિને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાયું છે, મોટા ભાગના પરિવારજનો લોનાવાલામાં હોય તેની અંતિમવિધિ પણ લોનાવાલામાં કરવાનું નક્કી ર્ક્યું છે. કુ.ભૂમિએ અગાઉ પણ વર્ષીતપની આકરી તપસ્પા કરી હતી. કચ્છ -ગુદાલાના પુ. વિમળાબાઇ મહાસતીજી અને લૂણીના વૈશાલીબાઈ મહાસતીજીના સાંનિધ્યમાં ભૂમિને ધાર્મિક અભ્યાસ કરતી હતી, હાલમાં દિનેશમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં બીજું વર્ષીતપ કરી રહી હતી. ભૂમિ ધાર્મિક સ્વભાવની હતી અને તેને દીક્ષાનો ભાવ હતો. પરંતુ અચાનક અમારા બધા પરિવારજનો સામે અંતિમ શ્વાસ લીધો. આ ઘટનાથી કચ્છી વિશા ઓસવાલ સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:52 am

બાળદિને બાળકીનું મોત:ધોરણ-6ની વિદ્યાર્થિનીને 100 ઊઠબેસની સજા: બાળદિને સારવાર દરમિયાન મોત

વસઈમાં સાતિવલી સ્થિત શ્રી હનુમાન્ત વિદ્યા હાઈ સ્કૂલમાં ધોરણ 6માં ભણતી 13 વર્ષની કાજલ ઉર્ફે અંશિકા ગૌડને શિક્ષકે 100 ઊઠબેસ કરવાની સજા આપ્યાનો આક્ષેપ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ સજા બાદ તેની તબિયત બગડી અને સતત સારવાર છતાં 14 નવેમ્બરે, બાળદિને, તેનું મૃત્યુ થયું. ઘટનાએ વાલીઓ, સ્થાનિકો અને રાજકીય પક્ષોમાં ભારે રોષ ફેલાવ્યો છે. 8 નવેમ્બરે અંશિકા સહિત અનેક વિદ્યાર્થીઓ શાળામાં 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. વર્ગશિક્ષકે તેમને સજા હેઠળ 100 ઊઠબેસ કરવાનું કહ્યું. અનેક વિદ્યાર્થીઓએ થોડી ઊઠબેસ કરી સજા અધૂરી રાખી બેઠા થઈ ગયા, પરંતુ ડરી ગયેલી અંશિકાએ સંપૂર્ણ સજા પૂર્ણ કરી. શાળાએથી ઘરે પહોંચ્યા પછી તેની તબિયત વધુ ખરાબ થવા લાગી. બીજા દિવસે સ્થિતિ ગંભીર બનતા તેને વસઈની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરાઈ, ત્યારબાદ વધુ સારવાર માટે તેને મુંબઈની જેજે હોસ્પિટલ ખસેડવામાં આવી. તમામ પ્રયત્નો નિષ્ફળ જતા 14 નવેમ્બરે તેનું અવસાન થયું. પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઘટનાની નારાજગી વ્યક્ત કરી શાળાને તાળું મારી દીધું છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી સંડોવાયેલા શિક્ષક સામે ગુનો નોંધાશે નહીં, ત્યાં સુધી શાળા ખોલવા નહીં દે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે શાળાને યોગ્ય માન્યતા મળી નથી, જેને કારણે વહીવટીતંત્ર પર પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ શિક્ષણ વિભાગના અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી. ગટશિક્ષણ અધિકારી પાંડુરંગ ગલાંગેએ જણાવ્યું કે, ઘટનાની વિગતવાર તપાસ કરી અહેવાલ રજૂ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અધિનિયમ 2009 મુજબ વિદ્યાર્થીઓને શારીરિક અથવા માનસિક સજા આપવી ગુનો છે, અને તે અંગે વિભાગ તરફથી વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસે વિધિસર તપાસ શરૂ કરી​​​​​​​આરટીઈ કાયદાની કલમ 17(1) મુજબ વિદ્યાર્થીઓ પર શારીરિક અને માનસિક અત્યાચારથી રક્ષણ આપવામાં આવે છે, જ્યારે કલમ 17(2) હેઠળ આવી હરકતો કરનાર સામે સીધી સજાની જોગવાઈ છે. આ ઘટનાને લઈને પોલીસે વિધિસર તપાસ શરૂ કરી છે, અને વહીવટીતંત્રની ભૂમિકા પર નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:51 am

સન્ડે ફોટો સ્ટોરી:સ્ટીલ ડિકાર્બનાઈઝેશનમાં સ્ક્રેપ મહત્ત્વપૂર્ણઃ એમજંકશનની પરિષદ

ભારતના સ્ટીલ કાર્બનાઈઝેશનના પ્રયાસમાં સ્ક્રેપ ચાવીરૂપ છે, એવો સૂર એમજંકશનની સ્ટીલ કોન્ફરન્સમાં ઊમટ્યો હતો. આ અવસરે તેના એમડી અને સીઈઓ વિનયા શર્મા, ડફેર્કો એશિયાના એમડી સુભેંદુ બોસ, ટાટા સ્ટીલના સંદીપ કુમાર, ઈક્રાના ગિરીશકુમાર કદમ, સેઈલના સૈયદ જાવેદ અહમદ સહિતના આગેવાનો હાજર હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:49 am

કુષ્ઠરોગ શોધ અભિયાન કરાશે:સત્તર નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી કુષ્ઠરોગ શોધ અભિયાન

કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચના અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ કુષ્ઠરોગ શોધ અભિયાન ચલાવવામાં આવશે. 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યાપક સર્વેક્ષણ દ્વારા કુષ્ઠરોગના દર્દીઓ શોધવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ વર્ષના અભિયાનમાં 8.66 કરોડ લોકસંખ્યા અને 1 કરોડ 73 લાખ 25 હજાર ઘર સર્વેક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. 65 હજાર 832 ટીમ અને 13 હજાર 166 સુપરવાઈઝર આ ઝુંબેશ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રામીણ ભાગમાં દરેક ટીમ દરરોજ 20 ઘર તો શહેરી ભાગમાં 25 થી 30 ઘરની મુલાકાત કરીને શારીરિક તપાસ કરશે. દરેક ટીમમાં એક આશા સ્વયંસેવિકા અને એક પુરુષ સ્વયંસેવક સહભાગી છે. દરેક ટીમ સતત 14 દિવસ સર્વેક્ષણ કરશે.કુષ્ઠરોગ શોધ અભિયાનની રાજ્યસ્તરીય સમિતિની બેઠક આરોગ્ય સેવા આયુક્ત તથા રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન સંચાલક ડો. કાદંબરી બલકવડેની અધ્યક્ષતા હેઠળ થઈ હતી. આ બેઠકમાં આરોગ્ય સેવા સહસંચાલક (ટીબી અને કુષ્ઠરોગ) ડો. રાજરત્ન વાઘમારે, રાજ્ય આરોગ્ય શિક્ષણ અને સંપર્ક વિભાગના સહાયક સંચાલક ડો. સંજયકુમાર જઠાર, દૂરદર્શન પ્રતિનિધિ ડો. આલોક ખોબ્રાગડે, આકાશવાણી મુંબઈના રાજેશ શેજવલે, એલર્ટ ઈંડિયાના વરિષ્ઠ પ્રોગ્રામર વિન્સેંટ કે. એ, અપાલના અધ્યક્ષ માયા રણવરે, મહારાષ્ટ્ર કુષ્ઠ પીડિત સંગઠનના સભ્ય મદિના શેખ તેમ જ રાજ્ય જનજાગરણ સમિતિ સભ્ય વિકાસ સાવંત ઉપસ્થિત હતા. 2027 સુધી શૂન્ય કુષ્ઠરોગ પ્રસારનો ધ્યેયશંકાસ્પદ દર્દીની મેડિકલ અધિકારી તરફથી તપાસ કરીને કુષ્ઠરોગ નિદાન થાય તો તેની સારવાર તરત ચાલુ કરવામાં આવશે. ઘેરઘેર તપાસ કરીને સમાજમાં છુપાયેલા, નિદાન ન થયેલા કુષ્ઠરોગ દર્દીઓને શોધીને સારવાર હેઠળ લાવવા અને સંક્રમણની સાંકળ તોડવી, કુષ્ઠરોગ બાબતે સમાજમાં જાગૃતિ વધારવી, 2027 સુધી શૂન્ય કુષ્ઠરોગ પ્રસારના ધ્યેયને હાંસિલ કરવું, એ આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ છે. અભિયાનની અસરકારક અમલબજાવણી માટે રાજ્ય સ્તરે સર્વેક્ષણ બાબતે માર્ગદર્શન કાર્યશાળા આયોજિત કરવામાં આવી રહી છે. તેમ જ જિલ્લા અને તાલુકા સ્તરે સમન્વય સમિતિઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીમના સભ્યોનું પ્રશિક્ષણ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:48 am

બીકેસીમાં 43મી એન્યુઅલ જનરલ મિટિંગનું આયોજન:ક્રેડાઈ- MCHI દ્વારા એકત્રિત ઝડપી મંજૂરીની દિશા સ્થાપિત

ક્રેડાઈ- એમસીએચઆઈ દ્વારા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસીમાં 43મી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ)નું આયોજન કરાયું હતું, જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નીતિના ઘડવૈયાઓ અને ઉદ્યોગના હિસ્સાધારકોએ એકત્ર આવીને મુખ્ય નીતિની બાબતોની સમીક્ષા કરી હતી અને પ્રમુખ સુખરાજ નાહરની આગેવાની હેઠળ સંગઠનનો એજન્ડા પણ સ્થાપિત કર્યો હતો. ખાસ કરીને એકત્રિત સુધારણા અને ઝડપી મંજૂરીની દિશા સ્થાપિત કરી હતી. ખાસ કરીને મહાપાલિકા કમિશનર ડો. ભૂષણ ગગરાણી સાથે સંયુક્ત સમીક્ષ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી અને અનેક સમસ્યાઓને પહોંચી વળવામાં આવ્યું હતું. ઉપરાંત ઈઝ ઓફ ડુઈંગ 2.0 રજૂ કરાયું હતું, જે મંજૂરીઓને પ્રવાહરેખામાં લાવવા, પારદર્શકતા સુધારવા અને નિયામક સંસ્થાઓ પાસેથી સમયબદ્ધ રીતે પ્રતિસાદની ખાતરી રાખવા માટે તૈયાર કરાયેલી કાર્યરેખા પર કેન્દ્રિત હતું. બીએમસી અને એસઆરએ સાથે માસિક સમીક્ષા યંત્રણા પ્રગતિનું પગેરું રાખવા અને સંચાલન અવરોધો ઉકેલવા માટે સંસ્થાકીયકરણ કરાયું હતું. ગગરાણીએ આ સમયે જણાવ્યું કે એજીએમમાં સર્વ ચાર સંગઠનને એકત્ર લાવવાનો નિર્ણય ઉદ્યોગની પરિપક્વતા અને ધ્યેય દર્શાવે છે. હિસ્સાધારકો એક અવાજ સાથે એકત્રિત આવે અને બોલે છે ત્યારે વહીવટી તંત્ર પડકારોને ઝડપથી પહોંચી વળે છે અને અતૂકતા વધી જાય છે.સુખરાજ નાહરે જણાવ્યું કે આ વર્ષે અમે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મજબૂત જોડાણ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ક્રેડાઈ- એમસીએચઆઈ, નરેડકો, પીઈએટીએ અને બીડીએ એકત્ર આવતાં અમે એવું એકત્રિત મંચ નિર્માણ કર્યું છે, જે અમને નિયામક અને સંચાલન પડકારોને વધુ કાર્યક્ષમ રીતે પહોંચી વળવા માટે અભિમુખ બનાવે છે. સેક્રેટરી રુશી મહેતાએ જણાવ્યું હતું કે સંગઠનની એકત્રિત કૃતિએ અનેક હકારાત્મક બાબતો સર્જાઈ રહી છે અને હું દરેક સભ્યોને આ મંચ અને પહેલોનો સક્રિય રીતે લાભ લેવા માટે પ્રોત્સાહન આપું છું. સિનિયર વીપી જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે અમારી એકત્રિત એકાગ્રતા પારદર્શક અને સમયબદ્ધ કાર્યરેખા નિર્માણ કરશે, જે ઝડપી મંજૂરીઓ અને સરળ પ્રોજેક્ટ અમલબજાવણીને પ્રોત્સાહન આપે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:47 am

ગિરદીના નિયંત્રણ માટે મેટ્રો પ્રશાસન દ્વારા નિયોજન:ઘાટકોપર-વર્સોવા મેટ્રો-1ના પ્લેટફોર્મ પર એન્ટ્રી મર્યાદા

ઘાટકોપરથી વર્સોવા દરમિયાન દોડતી મુંબઈની પ્રથમ મેટ્રો-1 રૂટ પર પ્રવાસીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ ધ્યાનમાં રાખીને ગિરદી પર નિયંત્રણ રાખવા મેટ્રો પ્રશાસને વિશેષ નિયોજન શરૂ કર્યું છે. અંધેરી, ઘાટકોપર, મરોલ નાકા જેવા મુખ્ય મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર મર્યાદિત પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. મેટ્રો-1 રૂટ પર હાલની સ્થિતિમાં કાર્યાલયના કામકાજના સમયમાં દરરોજ 5 લાખ કરતા વધારે પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ મેટ્રો રૂટને અંડરગ્રાઉન્ડ મેટ્રો-3, મેટ્રો 2એ અને મેટ્રો-7 એમ ત્રણ રૂટની કનેક્ટિવિટી થયા પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઘાટકોપર, મરોલ નાકા, ગુંદવલી, અંધેરી, આઝાદનગર જેવા મેટ્રો સ્ટેશન પર સાંજે અને સવારે સખત ગિરદી થાય છે. આ ગિરદીના વિશેષ નિયોજન માટે મેટ્રો પ્રશાસને વિવિધ પગલાં ભર્યા છે. એ અનુસાર ગિરદીના સમયે મેટ્રોના પ્લેટફોર્મ પર મર્યાદિત પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. ગિરદી વધે એટલે ટ્રેનની સીટની ક્ષમતા ધ્યાનમાં લઈને પ્લેટફોર્મ પર એન્ટ્રી મર્યાદિત રાખવામાં આવે છે. પ્લેટફોર્મના પ્રવાસીઓ સ્ટેશનથી પ્રવાસ શરૂ કરે ત્યાં સુધી બાકીના પ્રવાસીઓને ટિકિટ કાઉન્ટરવાળા એરિયામાં રોકી રાખવામાં આવે છે. ઘણી વખત આ બંને એરિયા ફૂલ થયા બાદ અનેક પ્રવાસીઓને અનપેઈડ એરિયામાં રોકીને ગિરદીનું નિયોજન કરવામાં આવે છે એવી માહિતી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:46 am

ગયા વર્ષની સરખામણીએ 51 ટકા વધારે વસૂલી:પ.રેલવેમાં ખુદાબક્ષો વધ્યા, 7 મહિનામાં 121 કરોડ દંડ વસૂલ

પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. એસી સહિત નોન-એસી લોકલમાં પણ પ્રવાસીઓની ગિરદી વધી રહી છે. આ ગિરદીનો ફાયદો ઉઠાવતા ઘણાં પ્રવાસીઓ ટિકિટ વિના પ્રવાસ કરે છે. આવા પ્રવાસીઓ પર અંકુશ મૂકવા પશ્ચિમ રેલવેની વિશેષ ટિકિટ તપાસ ટીમે એપ્રિલથી ઓક્ટોબર 2025ના સમયગાળામાં ટિકિટ વિનાના ખુદાબક્ષ પ્રવાસીઓ પાસેથી 121 કરોડ 67 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે. આ સાત મહિનાના સમયમાં થયેલી વસૂલી ગયા વર્ષની સરખામણીએ 51 ટકા વધારે છે. ઉપરાંત રેલવે બોર્ડે નિશ્ચિત કરેલા લક્ષ્યથી 14 ટકા વધારે વસૂલી થઈ છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આપેલી માહિતી અનુસાર ઓક્ટોબર મહિનામાં ટિકિટ વિનાના અને અનિયમિત પ્રવાસ તેમ જ અનધિકૃત સામાન સાથે સંબંધિત 3.39 લાખ પ્રકરણમાં કાર્યવાહી કરીને 24.20 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ વસૂલી ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ બમણી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેંટ્રલ, વડોદરા, રતલામ, રાજકોટ, ભાવનગર અને અમદાવાદ વિભાગના પશ્ચિમ રેલવેના વરિષ્ઠ વ્યવસાયિક અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ તપાસ ઝુંબેશ કરવામાં આવી. ગયા વર્ષ કરતા વધુ દંડવસૂલી કરવામાં આવી છે. એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં 18.90 લાખ ખુદાબક્ષોને પકડીને 121.67 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:45 am

ઉજવણી:ફતેપુરામાં શોભાયાત્રા સાથે બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવણી કરાઇ

ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને લઈને ફતેપુરાની આઈ.કે. દેસાઈ સ્કૂલ ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત અન્ય નેતાઓ અને લોકો શોભાયાત્રા અને સભામાં ઉમટી પડ્યા હતા. ભવ્ય શોભાયાત્રાનું સ્થાનિક લોકો દ્વારા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ભગવાન બિરસા મુંડાએ સમાજ સુધારાનું અને આદિવાસી સમાજ સહિત દેશનું ગૌરવ વધારવાનું ઉત્કૃષ્ટ કામ કર્યું છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે ભગવાન બિરસા મુંડાને આઝાદીના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બિરસા મુંડાએ જનજાતિ સમાજનું માન વધાર્યું છે અને દેશ નિર્માણનું કાર્ય કર્યું છે. તેમણે દેશના વડાપ્રધાનનો જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવા બદલ આભાર પણ માન્યો હતો. આ સભામાં ઉપસ્થિત સૌ કોઈએ દેશના વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનને પણ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:45 am

સિટી એન્કર:અંધેરી પશ્ચિમ-મંડાલે મેટ્રો-2બીના એશિયાના સૌથી મોટા કારશેડનું કામ પૂરું

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે અંધેરી પશ્ચિમથી મંડાલે મેટ્રો-2બી રૂટનો એક મહત્વનો તબક્કો પાર કર્યો છે. આ રૂટના મંડાલે કારશેડનું કામ પૂરું થયું છે અને આ કારશેડ હવે મેટ્રો ટ્રેનના સંચાલન માટે સજ્જ છે. મંડાલે ખાતે 30.45 હેકટર જમીન પર ઊભા કરવામાં આવેલા આ કારશેડમાં એક સાથે 72 ટ્રેન ઊભી કરી શકાશે.મંડાલે કારશેડ નવીનતા અને કલ્પકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કારશેડ એશિયામાં સૌથી મોટો અને અત્યાધુનિક કારશેડ હોવાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે. દહિસર પશ્ચિમ મેટ્રો-2એ રૂટનું વિસ્તરણ અંધેરી પશ્ચિમ-મંડાલે મેટ્રો-2બી રૂટના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. 23.64 કિલોમીટર લાંબા આ એલિવેટેડ મેટ્રો રૂટના કારણે પશ્ચિમ અને પૂર્વના ઉપનગરો જોડાશે. આ ઉપનગરોમાં પ્રવાસ અતિઝડપી થશે. આ રૂટનું કામ બે તબક્કામાં પૂરું કરવામાં આવે છે. મંડાલેથી ડાયમંડ ગાર્ડન અને ડાયમંડ ગાર્ડનથી અંધેરી પશ્ચિમ એમ બે તબક્કા છે. એમાંથી ડાયમંડ ગાર્ડનથી મંડાલે પહેલો તબક્કો પૂરો થયો છે. આ રૂટ શરૂ થવાની પ્રતિક્ષા મુંબઈગરા કરે છે. હવે આ રૂટમાં અત્યંત મહત્વના મંડાલે કારશેડનું કામ 100 ટકા પૂરું થયું છે.આ કારશેડ મેટ્રો સંચાલન માટે સજ્જ હોવાની માહિતી એમએમઆરડીએએ આપી છે. મેટ્રો-2બી રૂટનો કારશેડ 30.45 હેકટર જમીન પર ઊભો કરવામાં આવ્યો છે. એમાં 72 સ્ટેબલિંગ લાઈન્સ છે જ્યાં એક સાથે 72 મેટ્રો ટ્રેન ઊભી કરી શકાશે. મહત્વની વાત એટલે આ સ્ટેબલિંગ લાઈન્સ દ્વિસ્તરીય છે. એક માળા પર 36 અને બીજા માળા પર 36 ટ્રેન ઊભી રાખી શકાશે. આ કારશેડના પાટાની કુલ લંબાઈ 29 કિલોમીટર છે. ટ્રેનના પરીક્ષણ માટે પાટાનું જાળું દેશમાં સૌથી મોટુ હોવાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે. મેટ્રો ટ્રેનના રિપેરીંગ માટે 10 લાઈન્સ છે. ટ્રેન ધોવા માટે ઓટો વોશ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ કારશેડમાં ત્રણ માળાનું નિયંત્રણ કક્ષ અને એક પ્રશિક્ષણ કેન્દ્ર છે. આ એશિયાનો સૌથી મોટો અને અત્યાધુનિક કારશેડ હોવાનો દાવો એમએમઆરડીએએ કર્યો છે. મંડાલે પરિસર પર્યાવરણની દષ્ટિએ સંવેદનશીલ હોવાથી આ કારશેડ તૈયાર કરવા દરમિયાન પર્યાવરણને કોઈ નુકસાન ન થયું નથી એમ એમએમઆરડીએએ સ્પષ્ટ કર્યું છે. કારશેડ સજ્જ, સુરક્ષા પ્રમાણપત્ર પ્રાપ્ત:મેટ્રો-2બીના ડાયમંડ ગાર્ડનથી મંડાલેના પહેલા તબક્કાનું કામ પહેલાં જ પૂરું થયું છે. આ રૂટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનું નિયોજન હતું. પણ આ રૂટને 8 ઓક્ટોબર સુધી સુરક્ષા પ્રમાણપત્ર મળવાની શક્યતા ન હોવાથી લોકાર્પણ ઠેલાયું હતું. એ પછી થોડા દિવસમાં આ તબક્કા માટે સુરક્ષા પ્રમાણપત્ર મળતા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં લોકાર્પણની તૈયારી થઈ. જો કે કેટલાક કારણોસર આ મૂરત પણ ઠેલાયું હતું. મુંબઈગરા આ તબક્કો શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:45 am

આવેદનપત્ર:બીએલઓ શિક્ષકોને ધરપકડ વોરંટ ઇશ્યૂ પ્રથા બંધ કરવા રજૂઆત કરાઇ

શહેરા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી શહેરા પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું હતુ. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં બીએલઓ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વારંવાર લેખિત મૌખીક રજૂઆતો કરેલ હતી. પરંતુ આ બાબતે યોગ્ય નિર્ણય ન થતાં શૈક્ષિક સંઘે શિક્ષકોના પડખે રહી વેકેશનમાં તત્કાલિક હાજર થવાનું ફરમાન કર્યું હતું. કોઈ કારણસર હાજર ન થાય તો શિક્ષકોના વૉરંટ ઇશ્યૂ કાઢ્યા હતા. ત્યારે શિક્ષક શિક્ષણની સાથે સાથે રાષ્ટ્રીય કામગીરી પણ પૂર્ણ નિષ્ઠાથી અને ચોકસાઈ પૂર્વક કરતા આવ્યા છે. જેમાં ચૂંટણીની કામગીરી હોય કે વસતી ગણતરી હોય જે કામગીરી શિક્ષકોએ બખૂબી નિભાવી છે. ત્યારે કોઈ કારણથી શિક્ષક હાજર ન થઈ શક્યા હોય એમને કારણ જાણ્યા વગર કે કોઈ સમય આપ્યા વગર વૉરંટ ઇશ્યૂ કરવા કેટલા અંશે વ્યાજબી? ભારતીય ચૂંટણી આયોગના નિર્દેશ મુજબ 12 બાર જેટલી કેડર ના કર્મચારીઓને આ કામગીરી સોંપવાની છે. ત્યારે હાલ 95% શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવેલ છે. એક શાળામાંથી એક થી વધારે બીએલઓ શિક્ષકોના હુકમો થયેલ છે. ત્યારે સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને મતદારોની સંખ્યા જોઈને સરળતા કરી આપવામાં આવે સાથે કોઈ શિક્ષક દ્વારા ઓછું કામ થયું હોય કે સમય મર્યાદામાં ન થયું હોય ત્યારે નોટિસ, ખુલાશો આપવાના સ્થાને તેમની સાથે સૌમ્યતાથી વર્તન કરવામાં આવે સહકાર આપે સાથે આ સમસ્યાનો ઉકેલ જો નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત જે નિર્ણય કરશે એમા શહેરા તાલુકાના હોદેદારો જોડાશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:44 am

કાર્યવાહી:હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે 3 આરોપી ઝડપાયા

લીમખેડા અને રણધીકપુર વિસ્તારમાં થયેલ બે અનડિટેકટ દુકાન ચોરીના ગુન્હાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઝડપથી ઉકેલાયા છે. તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા અને ચોરીમાં લીધેલી કુલ રૂા.15500 કબજે કરવામાં આવી છે. લીમખેડા પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દાહોદ પોલીસ. સ્ટાફની જુદી-જુદી ટીમો મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલ્કત સબંધી ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન એલ.સી.બી. પી.આઇ. એસ.એમ.ગામેતીની સુચનામાં ટીમો મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી પોલીસ. ટીમને મળેલ માહિતી આધારે લીમખેડા પોલીસ મથક તેમજ રણધીકપુર પોલીસ મથકમાં વિસ્તારમાં બનેલ દુકાન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી લીમખેડા તાલુકાના ચિલાકોટાના વિક્રમ દેવા વળવી, વિપુલભાઈ બાબુભાઈ તડવી, વલુંડીના પરથમ ઉર્ફે શૈલેષ તેરસીંહ બારીયાને ચોરીમાં ગયેલ રોકડા રૂા.15,500 સાથે ઝડપી પાડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમ્યાન રેકી કરી રાત્રીની સમયે ચોકકસ નક્કી કરેલ ટાર્ગેટ મુજબ બંધ દુકાનના તાળા તોડી સર સામાન ચોરી કરવાની એમ.ઓ.ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:43 am

એસોસિયેશન ફોર ઓલ ટ્રસ્ટની મહત્ત્વપૂર્ણ મીટિંગનું આયોજન:બે ટકા સેસના જજમેન્ટ અંગે ચર્ચા કરવા સર્વ ધર્મના પ્રતિનિધિઓની એકત્ર આવ્યા

ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ખાતે એસોસિયેશન ફોર ઓલ ટ્રસ્ટની મિટિંગ તાજેતરમાં આયોજિત થઈ હતી. જેમાં મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેસના જજમેન્ટ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જેમાં અનેક ધર્મોના પ્રતિનિધિત્વો અને અનેક વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સભાને માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતમાં મુખ્ય મંત્રીને મળીને એક આવેદન પત્ર આપવાની વિચારણા થઈ રહી છે. આ પ્રતિનિધિ મંડળમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન, પારસી પંચાયત, ઈસ્કોન, દાઉદ વહોરા ટ્રસ્ટ અને ભાટીયા ટ્રસ્ટના અને અન્ય ધર્મના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેને વિદ્વાન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એક્સપર્ટ્સ લોકોએ સંબોધિત કરી હતી અને આવેલા અનેક ધર્મના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે ફોટોલાઈનઃ સી.એ. વિપીન બાટવીયા, સી.એ. વિરેન મર્ચન્ટ, સી.એ. અતુલ શાહ, ગિરીશ શાહ, નવસરી દાદરાવાલા, મુફત્તલ ફતેહી, ઈસ્કોનના શ્રી મહાપ્રભુ, વેણુધારી ક્રિષ્ણા હાજર હતા. શ્રી મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક જૈન સંઘો દ્વારા 40/2007ની એક રીટ પિટિશન મુંબઈની વડી અદાલતમાં દાખલ કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર પાસે ઘણી બધી ફિક્સ ડિપોઝીટ હોવાથી તેઓ તેના વ્યાજમાંથી ઓફિસનો ખર્ચો કાઢી શકે તેમ છે અને 1975ના સેલ્વેસન આર્મી ઈન્ડિયાના જમેન્ટના આધારે જ્યાં સુધી આ રકમ હોય ત્યાં સુધી 2 ટકા સેશ લઈ શકાતો નથી તેથી 25-9-2009થી આ સેશ ઉપર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને છેલ્લા 16 વર્ષથી પાંચેક લાખ ટ્રસ્ટોની પોતાની ગ્રોસ આવકના કોન્ટ્રીબ્યુશન ઉપર બે ટકા સેશ ભરવો પડતો નહોતો. જોકે, વડી અદાલતમાં આપેલા ચૂકાદા પ્રમાણે છેલ્લા 16 વર્ષનો આ કોન્ટ્રીબ્યુશન સેશ ટ્રસ્ટો પાસેથી વસૂલ નહીં કરી શકાય પરંતુ હવે તેમની ફિક્સ ડિપોઝિટ કેપિટલ એસેટ્સ લેવા માટે વપરાઈ ગઈ હોવાથી નવેસરથી સર્કયુલર જાહેર કરીને બધા ટ્રસ્ટો ઉપર બે ટકાથી પાંચ ટકાની વચ્ચે સેશ લઈ શકાય છે. અને પિટિશનરોને છૂટ આપવામાં આવી હતી કે આ સેશમાં કંઈ વાંધાજનક લાગે તો ફરી એકવાર તેઓ હાઈકોર્ટને અવગત કરી શકે છે. નૌશીર દાદરાવાલા, વિરેન મર્ચન્ટ અને મુંબઈ જૈન સંઘ સંગઠનના અતુલ શાહે આ બાબત ખૂબ જ રિસર્ચથી છણાવટ કરીને આ જજમેન્ટની લોકોને જાણકારી આપી હતી, તે સિવાય આ સભામાં શ્રી મુફ્ત્તલ ફતેહી, શ્રી ગિરીશભાઈ શાહ, ઈસ્કોનના શ્રી મહાપ્રભુજી, સી.એ. શ્રી બિપીન બાટવીયા, શ્રી વેણુધારી ક્રિષ્ણા અને સી.એ. શ્રી રાજકમલ શાહે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ચર્ચામાં એક વાત ઉપસીને આવી હતી કે બંધારણની 25-26મી કલમના આધારે ધર્મ કરવાની સ્વાયત્તતા હોવાને કારણે તેના ઉપર કોઈ ટેક્સ લાગવો જોઈએ નહીં અને જે સર્વિસિસ આપવામાં આવે છે તે અપૂરતી હોવાથી આવો ટેક્સ લગાડવો વ્યાજબી પણ નથી. ચાર રાજ્યમાં જ સેસના કાયદાવધુમાં આખા ભારત દેશમાં માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આમ કુલ ચાર રાજ્યમાં જ આ સેસના કાયદાઓ છે. બાકીના કોઈ રાજ્ય કે યુનિયન ટેરિટરીમાં ચેરિટી કમિશનરના આવા કાયદાઓ અસ્તિત્વમાં નથી. વળી ગુજરાતમાં 2 ટકા અથવા 50,000 બેમાંથી જે ઓછો કર થાય તેટલો જ ટેક્સ ભરવાની મર્યાદા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:41 am

ફોટો સ્કેનમાં સર્વરની સુસ્તી:ગ્રામ્ય કક્ષાએ મતદાર યાદી સુધારણા‎ઓનલાઈન કામગીરીમાં અડચણો‎

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ની કામગીરી દાહોદ જિલ્લામાં પડકારરૂપ બની રહી છે. એક તરફ ઇન્ટરનેટ અને સર્વરની ધીમી ગતિને કારણે ઓનલાઈન કામગીરી અટકી રહી છે. તો બીજી તરફ મતદારોના મૂળ દસ્તાવેજો મેળવવા માટે સ્થાનિકોએ કામ-ધંધા અને ખેતીવાડી છોડીને કલાકોના કલાકો ફાળવવા પડી રહ્યા છે. પરિણામે ખેતીવાડીની મોસમમાં આ કામગીરી ખેડૂતો અને સ્થાનિકો માટે બમણો બોજ સાબિત થઈ રહી છે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન કામગીરીમાં ફોટો સ્કેન કરતી વખતે સર્વર અત્યંત ધીમું ચાલે છે. જેથી મતદારોનું કામ ઑફલાઇન પૂર્ણ કરવુ પડી રહ્યુ છે. વળી, સ્થળાંતર કરી ગયા હોવાથી ઘણા ઘરોમાં મતદારો મળતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ડિજિટલ પ્રક્રિયા અટકી રહી છે અને બીએલઓને જૂની, સમય માંગી લેતી ઑફલાઇન પદ્ધતિ પર જ આધાર રાખવો પડી રહ્યો છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા સુધારવા માટે આધારભૂત પુરાવા એકઠા કરવા એ પણ ગ્રામ્ય પ્રજા માટે એક મોટી કસોટી બની ગઈ છે. પાડોશના ગામમાં લગ્ન કર્યા હોવા છતાં જૂની યાદીઓ શોધવાની આ પ્રક્રિયા સામાન્ય ગ્રામજનો માટે સમયનો અને શક્તિનો વ્યય કરનારી સાબિત થઈ રહી છે. આ કાર્યવાહીને કારણે ખેતીવાડીના વ્યસ્ત સમયમાં સ્થાનિકોના દૈનિક કામ-ધંધા પર પણ સીધી અસર પડી રહી છે. ફોટો સ્કેનમાં સર્વર ધીમું‎ચાલતા તકલીફ પડે છે‎300 જેટલા મતદારોના ઓફલાઈન કામગીરી‎કરીને ફોર્મ ભરીને પૂર્ણ કરેલ છે. હાલમાં‎કેટલાક ઘરોમાં મતદારો મળતા નથી. જ્યારે આ‎કામગીરી ઓનલાઇન હાલ કરી ત્યારે ફોટો‎સ્કેનમાં સર્વર ધીમું ચાલતું હોવાથી તકલીફ પડે‎છે. - સેમનભાઈ સંગાડા , બીએલઓ, મધાનીસર‎ કાર્યવાહીથી અમારા કામ ધંધા પર અસરસરકાર દ્વારા મતદારયાદીની કામગીરી શરૂ કરવામાં આવી તે અમારા ગામમાં પણ ચાલી રહી છે. જેમાં મારા ઘરની વહુ અન્ય ગામમાં પરણાવી હોવાના કારણે તેની મતદાર યાદી લેવા જવામાં આખા દિવસનો સમય જતો રહે છે. આ કાર્યવાહીના કારણે અમારા કામ ધંધા પર પણ અસર પડે છે. હાલમાં ખેતરમાં ઘઉં વાવેલા હોવાના કારણે ખેતીવાડીનો પણ સમય ચાલી રહ્યો છે. તેવામાં આ કામગીરીના કારણે અમને ખેતીના ધંધા પર અસર પડે છે ભરતભાઈ બારિયા, કલજી

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:39 am

દિશાદર્શન:ભગવાન બિરસા મુંડાનો વિરલ ઈતિહાસ ભવિષ્યની પેઢીઓનું દિશાદર્શન કરશે

ભારતના ભવ્ય ઇતિહાસમાં ‘ધરતી આબા’ તરીકે અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ ‘જનજાતિ ગૌરવ વર્ષ’ તરીકે ઉજવાઇ રહ્યું છે. વડાપ્રધાનની પહેલથી શરૂ થયેલી આ પરંપરા અંતર્ગત, દાહોદરમાં વહીવટી તંત્ર દ્વારા શ્રીરામ પાર્ટી પ્લોટમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમંત્રી દર્શનાબેન વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. શ્રેષ્ઠ રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, જળ, જંગલ અને જમીન બચાવવા માટે ભગવાન બિરસામુંડાએ નાની ઉંમરે અંગ્રેજો સામે પ્રચંડ લડાઈ લડી હતી, જેના કારણે અંગ્રેજોને આદિજાતિના હકો માટે નીતિ ઘડવાની ફરજ પડી હતી. તેમણે જણાવ્યું કે, બિરસામુંડાનો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે. વધુમાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતિમ હરોળમાં રહેલા માનવીને પ્રથમ હરોળમાં લાવવાની નેમની વાત કરી હતી. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ બિરસા મુંડાના બલિદાનને ન ભૂલવા માટે આહ્વાન કર્યું હતું. આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:37 am

ભાસ્કર એક્સક્લૂસિવ:મહી.માં 931 બીએલઓ પૈકી 905 પ્રાથમિક‎શિક્ષકો : ક્લાસરૂમ ખાલી, શિક્ષકો મેદાનમાં‎

નિતુરાજસિંહ પુવારમહીસાગરમાં એસઆઇઆર અંતર્ગત મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી ચાલી રહી છે. જેમાં જિલ્લાના 931 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. જેમા 905 તો પ્રાથમિક શાળાના શિક્ષકો છે. હાલ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જે 144 દિવસ ચાલવાનું છે. જેની સામે શિક્ષકોને 90 દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીમાં આપી છે. જ્યાં બે શિક્ષકોથી ચાલતી શાળામાં એક શિક્ષક વર્ગ મર્જ કરીને એકજ વર્ગ ખંડમાં બે થી ત્રણ ધોરણના બાળકોને બેસાડતા શિક્ષણ પર અસર થાય છે. કેન્દ્ર ચૂંટણી આયોગ દ્વારા અલગ અલગ 12 કેડરના કર્મચારીઓને બીએલઓની કામગીરી સોંપાવાની સુચના આપેલી છે. તેની જગ્યાએ મહીસાગર જિલ્લામાં 931 બીએલઓમાં 905 પ્રાથમિક શિક્ષકોને જ કામગીરી સોંપતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. તાલુકા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત બાદ પણ નિર્ણય ન લેવાતાં બાળકોનું શિક્ષણ ખોરવાઇ રહ્યુ છે. ચૂંટણી પંચની ગાઈડ લાઇન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવેએસઆઈઆરની કામગીરી અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપવાની સુચના હતી. તો માત્ર શિક્ષકો પાસે કેમ કામગીરી કામ કરાવવામાં આવી રહી છે. જિલ્લાના 644 જેટલા શિક્ષકોતો ત્રણ વર્ષથી વધુ સમયથી બીએલઓનું કામ કરે છે. તદ્ ઉપરાંત બીએલઓના સહાયક તરીકે પણ પ્રાથમિક શિક્ષકોને ફરજ પર રાખવામાં આવ્યા છે. જેથી પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડે તેમ છે. તો ચૂંટણી પંચની ગાઈડ લાઇન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. - શશીકાંતભાઈ પટેલ. પ્રમુખ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. શિક્ષણની ગુણવત્તા પાર ગંભીર અસરો પડે છે શિક્ષકોને તેમના મુખ્ય કાર્ય એટલે કે શિક્ષણ સિવાય અન્ય બિન-શૈક્ષણિક કાર્યો, જેમ કે મતદાર યાદીની કામગીરી સોંપવાથી શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસરો થાય છે. શિક્ષકો વર્ગખંડ છોડીને મતદાર યાદી સુધારણા, ઘરે-ઘરે સર્વે, ડેટા એન્ટ્રી કરવા જતા હોય છે. વર્ગખંડમાં શિક્ષકની ગેરહાજરી અથવા ઓછો સમય ફાળવવાથી અભ્યાસક્રમ સમયસર પૂરો થતો નથી. શિક્ષકો પાસે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જેમ કે પરીક્ષા મૂલ્યાંકન, પ્રશ્નપત્ર બનાવવું અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે ઓછો સમય રહે છે. આનાથી શાળાના એકંદર શૈક્ષણિક વાતાવરણને નુકસાન થાય છે. જેથી શિક્ષકોનુ શિક્ષણ કાર્ય ગૌણ બની જાય છે. અને દેશના ભવિષ્યના ઘડતર પર નકારાત્મક અસર કરે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:35 am

લગ્નના નામે છેતરપિંડી:વિજાપુરના યુવક સાથે લગ્ન કરનાર કન્યા 4 દિવસ બાદ 3 લાખ અને દાગીના લઈ છૂમંતર

લગ્ન વાંચ્છુક કુંવારા યુવક સાથે રૂ.3.10 લાખ રોકડા અને દાગીના લઈ, વિજાપુરમાં પરણીને આવેલી કન્યા ચાર દિવસ બાદ ઘરે માતાજીના દર્શન કરવાનું કહીને જતી રહી હતી. આથી છેતરાયેલા મુરતિયાએ પરણીને આવેલી કન્યા, તેના પિતા અને દલાલ સહિત ચાર સામે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર શહેરના બાલ્યો માઢ વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અમિતકુમાર બાબુભાઈ પટેલના લગ્ન થયા ન હોય તેમના મામાએ બધાના લગ્ન કરી આપતા વડાલીના બળવંતભાઈ રાજપુતનો મોબાઇલ નંબર આપતાં તેમની સાથે વાત કરી હતી. બળવંતભાઈએ તેમના મોબાઈલ ઉપર એક મહિના પછી છોકરીઓના ફોટા નાખ્યા હતા. તેમાંથી તેમણે વઘાસિયા રિયાબેન અશોકભાઈ (રહે.રૂપપુરા, તા.મહુધા, જિ.ખેડા) નામની કન્યા પસંદ કરતાં 2025માં બળવંતભાઈ રાજપુત, રિયા વધાસીયા, તેના પિતા વધાસીયા અશોકભાઈ હરમાનભાઈ અને સોનલબેન તેમના ઘરે આવ્યા હતા અને તે સમયે કન્યા પક્ષને રૂ.3.10 લાખ રોકડા, એક મંગળસૂત્ર, ચાંદીની પાયલ અને પગમાં પહેરવાના વીંછી આપવાની વાત થઈ હતી. ત્યાર બાદ 16 મેના રોજ અમદાવાદ ઘીકાંટા કોર્ટમાં અમિતભાઈએ તેમના સગાસંબંધીઓની હાજરીમાં ફેરા ફરી રિયા સાથે લગ્ન કર્યા હતા

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:30 am

સમાચારથી શીખ:બેંક ઓફ બરોડાના નિવૃત્ત કેશિયરને તેમની જ બેંકની લિંક મોકલી ઠગે ખાતામાંથી 12.92 લાખ શેરવી લીધા

બેંક ઓફ બરોડામાંથી કેશિયરની નોકરીમાંથી નિવૃત્ત થયેલા કડીના વૃદ્ધના સોશિયલ મીડિયા ઉપર તેમના જ બેંકની લીંક મોકલી વીડિયોકોલથી વાત કરી ઠગે બેંક એકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ તેમના બંને ખાતામાં પડેલા રૂ.12.92 લાખ ઉપાડી લીધા હતા. તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાના મેસેજ આવતાં ખબર પડ્યા બાદ તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મહેસાણા સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કડીના દેત્રોજ રોડ પર આવેલી શાયોના સોસાયટીમાં રહેતા હસમુખભાઈ છનાલાલ ભાવસાર બેન્ક ઓફ બરોડામાંથી કેશિયરપદેથી ત્રણ વર્ષ પૂર્વે નિવૃત્ત થયા હતા. 12 નવેમ્બરે બપોરે તેમના મોબાઈલ ઉપર બેન્ક ઓફ બરોડાના લોગોવાળી લાઈફ સર્ટિફિકેટ વેરિફિકેશનની લીંક આવી હતી. તે ઓપન કર્યા બાદ બેંક ઓફ બરોડાનું પેજ ઓપન થયું હતું. જેમાં તેમણે પોતાનું નામ અને અન્ય વિગતો સબમિટ કરતાંની સાથે જ 89189 25283 નંબર પરથી વીડિયોકોલ આવ્યો હતો છેતરપિંડીથી બચવા અજાણી લિંક ખોલવી નહીં‎સાયબર ક્રાઇમ રોકવા પોલીસની અજાણી લિંક નહીં ખોલવા અપીલ છતાં બેંકના જ કેશિયર પોતાની બેન્કના લોગોવાળી લિંક જોઈને છેતરાઈ ગયા. આથી કોઈપણ અજાણ્યા નંબરથી આવતી APK ફાઇલ કે લિંક ખોલવી કે ડાઉનલોડ કરવી નહીં. તે તમારા ફોનનો કંટ્રોલ હેકર્સને આપી, બેંક ખાતું ખાલી કરી શકે છે. જો આવી લિંક ખોલી નાખો છો તો તાત્કાલિક બેંક અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવો. પાસવર્ડ બદલી, મોબાઇલમાંથી શંકાસ્પદ એપ્લિકેશનો દૂર કરી નાખવી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:28 am

કૌભાંડ પકડાયું:યુવાનોને ઊંચા પગારની લાલચ આપી દુબઈ લઈ જવાનું કહી મ્યાનમારમાં પાકના કૉલ સેન્ટરમાં નોકરી કરાવવાનું કૌભાંડ પકડાયું

ગુજરાતના છોકરા-છોકરીને ઊંચા પગારની નોકરી માટે દુબઈ, મલેશિયા અને વિએતનામ લઈ જવાના બહાને મ્યાનમારમાં ચાલતા સાઇબર ફ્રોડના કૉલ સેન્ટરમાં કામ કરાવવાનું કૌભાંડ પકડાયું છે. કૉલ સેન્ટરના બંને સંચાલક પાકિસ્તાની છે. તેમના માટે ગુજરાતમાંથી છોકરા-છોકરીઓ મોકલવાનું નેટવર્ક જૂનાગઢનું દંપતી તેમજ આણંદનો એજન્ટ સંભાળતા હતા. પોલીસે દંપતી સહિત 3ની ધરપકડ કરી હતી. આ ટોળકીએ 2 વર્ષમાં 41 છોકરા-છોકરીઓને મોકલ્યાનો ઘટસ્ફોટ થયો હતો. સાઈબર સેન્ટર ફોર એક્સિલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા એ કહ્યું કે મ્યાનમારથી પાછા આવેલા છોકરા-છોકરીઓ પાસેથી મળેલી માહિતીન આધારે ગુજરાતમાં નેટવર્ક ચલાવતા સોનલ ફડદુ અને તેના પતિ સંજય ફડદુ તેમજ આણંદના સબ એજન્ટ શૈલેષ ડાભીની ધરપકડ કરી હતી. આ લોકો ડેટા એન્ટ્રી, ટેક્નિકલ જોબ માટે દુબઈ, મલેશિયા, વિએતનામ મોકલવાની લાલચ આપતા હતા. એક વ્યક્તિ પાસેથી 80 હજાર લેતા હતાઆ ટોળકી ટેલિગ્રામ અને રૂબરૂ મળીને 30થી 50 હજારના પગારની નોકરી માટે તૈયાર કરતા હતા. તેમની પાસેથી પ્રોસેસિંગ ફી પેટે 80 હજાર લેતા હતા. તેમાંથી સોનલ 55 હજાર રાખતી હતી જ્યારે 25 હજાર ટિકિટ માટે લેતી હતી. પાછા મોકલવા માટે 6થી 10 હજાર ડૉલર લેતાટોળકી યુવાનોને 3 મહિનાથી માંડીને 1 વર્ષ સુધી જબજસ્તીથી કૉલ સેન્ટરમાં નોકરી કરાવતા હતા. તેમાં તેમની પાસે ડિજિટલ અરેસ્ટ માટેનું કૉલ સેન્ટર, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, નોકરીના બહાને છેતરપિંડી કરીને પૈસા પડાવતા હતા. યુવાનો પાછા જવાનું કહે તો તેની પાસેથી 6થી 10 હજાર ડૉલર લેતા ત્યાબબાદ જ તેને પાસપોર્ટ આપતા હતા. ભાસ્કર ઈનસાઈડ2 વર્ષમાં સોનલ 5 વખત દુબઈ ગઈ હતી અને ત્યાં જ તનવીર સાથે મીટિંગ કરી હતીસોનલ 2 વર્ષમાં 5 વખત દુબઈ ગઈ હતી અને ત્યાં દર વખતે તનવીર સાથે મીટિંગ કરતી હતી. તનવીર સોનલને વીડિયો કૉલથી મીયાજઅલી સાથે વાત કરાવતો. આ બંને સાથે મળીને સોલને 2 જ વર્ષમાં ગુજરાતમાંથી નોકરીના બહાને 5 યુવાનને મ્યાનમાર, 15ને દુબઈ, 15ને વિએતનામ અને 6ને મલેશિયા મોકલ્યા હતા. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષો સુધી કૉલ સેન્ટર દુબઈમાં ચાલતા હતા પરંતુ 2 વર્ષથી દુબઈ સરકારે લાલ આંખ કરતાં ગુનેગારો તેમજ કૉલ સેન્ટરો મ્યાનમાર, કમ્બોડિયામાં શિફ્ટ થઈ ગયા છે. આ લોકોના સેન્ટર પણ પહેલાં દુબઈમાં જ ચાલતા હતા પરંતુ 1 વર્ષથી તેમણે મ્યાનમારમાં કોલ સેન્ટર ચાલુ કરી દીધા હતા.​​​​​​​

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:27 am

ગ્રાઉન્ડ રિપોર્ટ:SIRની કામગીરીમાં શહેરોમાં લાંબી કતારો,ગામડામાં ખેતીની સિઝન હોઇ એકલદોકલ મતદારો જોવા મળ્યાં

SIRની કામગીરીને લઇ શનિવારે સવારે 9 થી બપોરે 1 કલાક સુધી બીએલઓને તેમના મતદાન મથક પર હાજર રહી ફોર્મ સ્વિકારવાની કામગીરી સોંપાઇ હતી. શહેરોના મતદાન મથકોમાં લાઇનો લાગી હતી. ત્યાં ગામડામાં ખેતીની સિઝનને લઇ એકલ-દોકલ લોકો આવતાં નજરે પડ્યા હતા. શહેરોમાં ભરેલા ફોર્મ ચકાસીને સ્વિકારવામાં વ્યસ્ત બીએલઓ અન્ય લોકોને ન્યાય આપી શક્યા ન હતા. જ્યારે ગામડામાં લોકોની તમામ મુંઝવણોને સ્થળ પર જ નિરાકરણ લવાતું જોવા મળ્યું હતું. એક બીએલઓએ જણાવ્યું કે, શહેરીની વિસ્તારની એક બીજી મુશ્કેલી છે. એવા પણ પરિવારો છે કે તેમના સભ્યોના મતદાન મથકો અલગ-અલગ છે. એટલે કે, 2 કે 3 બીએલઓને એક જ ઘરમાં ફોર્મ આપવા અને લેવા જવું પડે છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ તિરૂપતિ બંગ્લોઝના બે બુથોના મતદારોના ગણતરી ફોર્મ પરત લેવા માટે સંકલ્પ સ્કૂલમાં સવારે 8 વાગ્યાથી બે બીએલઓ ટેબલ લઈને ગોઠવાઈ ગયા હતા. 9 વાગતાં નજીકમાં આવેલી તિરૂપતિ બંગ્લોઝ અને સ્વામિનારાયણ સોસાયટીનાં કેટલાક મતદારો સાહેબ મારું આ ફોર્મ ભરેલું બરાબર છે કે નહીં કહેતા નજરે પડ્યા હતા. બીએલઓએ ફોર્મ હાથમાં લેતાંની સાથે જ 2002ની યાદીમાં તેમનું નામ હતું કે નહીં તેની વિગતો મોટાભાગના ગણતરી ફોર્મમાં કોઈ મતદારે લખી ન હતી. તો 2002 પૂર્વે જન્મેલા અને હાલ મતાધિકાર ધરાવતા 20 વર્ષ ઉપરની વયના યુવક યુવતીઓના મોટા ભાગના ફોર્મમાં પુરાવા જોડેલા ન હતા. સ્વામિનારાયણ સોસાયટીના બીએલઓ હિરેનભાઈએ જણાવ્યું કે, મારા અંડરમાં 10 સોસાયટી છે પણ મને મતદાર યાદીયે આપી નથી. શહેરોમાં એક જ ઘરના સભ્યોના મતદાન મથકો અલગ હોવાથી 2 કે 3 BLOને ફોર્મ આપવા-લેવા જવું પડે છે‎સ્થળ-1 : મહેસાણાની કર્વે સ્કૂલમાં લોકોની લાંબી લાઇનો લાગી હતી. અહીં માત્ર‎ભરેલું ફોર્મ સ્વિકારવામાં આવતાં હતા. 2002 ની યાદીમાં નામ શોધવા અને ફોર્મ‎ભરવાની મદદ માંગનાર લોકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.‎‎સ્થળ-2 : વિજાપુરના સોજા ગામની પ્રાથમિક શાળામાં બીએલઓ પિંકીબેન પ્રજાપતિએ‎જણાવ્યું કે, ઉમરલાયક મતદારોને ફોર્મ ભરવામાં સૌથી વધુ મુંઝવણ છે. 2002ની‎યાદીમાંથી નામ શોધવું મુશ્કેલ છે. આવા મતદારોને સાથે રાખી ફોર્મ ભરાવવા પડે છે.‎સ્થળ-3 : પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે ગ્રામ્ય વિસ્તારના એક બીએલઓએ‎કહ્યું કે, 2 કલાકમાં ત્રણ ફોર્મ પરત આવ્યા છે. મારી યાદીમાં આવતાં મોટાભાગના‎લોકો ખેડૂતો જ છે. હાલ ખેતીની સિઝનની ચાલતી હોઇ કામગીરીમાં વ્યસ્ત છે. એટલે‎હવે ગામમાં જઇ એ લોકો ઘરે ઘરે જઇને ફોર્મ ભેગા કરીશ.‎ 2002 પૂર્વે જન્મેલા, 20 વર્ષથી‎વધુ વયના મતદાર ના મોટા‎ભાગના ફોર્મમાં પુરાવા નથી‎લાખવડ પ્રાથમિક શાળામાં 4 બીએલઓ ફોર્મ સ્વીકારી રહ્યા હતા. 2002 બાદ ગામમાં જે દીકરીઓ પરણીને વહુ બનીને આવી હતી, તેમના નામ 2002ની યાદીમાં ન હોય તેમના પિયરના ગામ અને વિધાનસભા વિસ્તારમાં તેમના પિતા અને તેમનું નામ હતું કે નહીં તેની તપાસ કરવી પડતી હતી અને તે યાદી ઓનલાઇન જોવા માટે બીએલઓ અને ઘરવાળાઓને આંખો ફોડીને ભારે કસરત થઈ હતી. ગામના પ્રહલાદભાઈ પટેલે તેમની પુત્રવધૂના ગણતરી ફોર્મમાં 2002ની મતદાર યાદીની વિગતો ભરવા માટે રણાસણ તેમના વેવાઈ પાસેથી યાદી સોશિયલ મીડિયાથી મગાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:25 am

રાજ્યમાં 100એ 1 વ્યક્તિને આર્થરાઇટિસ:રૂમેટોલોજિસ્ટના શહેરમાં 10, રાજ્યમાં માત્ર 35 જ ડૉક્ટર

ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરની જેમ મોટી સંખ્યામાં લોકો આર્થરાઈટિસની સમસ્યાથી પીડાય છે. દેશમાં દર 100માંથી 1 વ્યક્તિ આર્થરાઈટિસથી પીડાય છે. એ 50થી વધુ વયના લોકોમાં ઘૂંટણના ઘસારા સુધી પહોંચી જાય છે અને લોકોને ની-રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે. દેશમાં નિષ્ણાત રૂમેટોલોજીસ્ટની સંખ્યા ઓછી છે. અમદાવાદમાં માંડ 10 સહિત રાજ્યમાં 35 જ્યારે દેશમાં કુલ 400 નિષ્ણાત તબીબ છે. પુણેના સેન્ટર ફોર રુમેટિક ડિસીઝના ડિરેક્ટર અને ચીફ રૂમેટોલોજિસ્ટ ડૉ. અરવિંદ ચોપરા તેમજ ઇન્ડિયન રૂમેટોલોજી ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સપન પંડ્યાએ જણાવ્યું કે આર્થરાઈટિસના નિયંત્રણ માટે આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે આયુર્વેદ અને આયુષ પદ્ધતિ વચ્ચે સંકલન થાય તે જરૂરી છે. આર્થરાઈટિસ અંગે થયેલા વિવિધ સર્વેનાં તારણો • 19.53 કરોડ લોકો આર્થરાઈટિસથી પીડાતા હોવાની શક્યતા. • મહિલાઓનું પ્રમાણ 12.71 કરોડ એટલે કે 65 ટકા જેટલું છે. • 22 ટકા જેટલી મહિલાઓ હાડકા અને સાંધાના રૂમેટિક પ્રકારના દુખાવાથી પીડાય છે. • 0.42 કરોડ લોકોમાંથી 0.35 કરોડ મહિલાઓ રૂમેટોઈડ આર્થરાઈટિસની પીડાય છે • આ મહિલાઓમાં 0.12 કરોડ મહિલાઓ 20થી 45 વર્ષની ઉમરની રૂમેટોઈડ આર્થરાઈટિસથી પીડિત છે • 5.44 કરોડ લોકો ઓસ્ટિઓ આર્થરાઈટિસ જેમાં ઘુંટણ અને સ્પાઈનના દુખાવાથી પીડિત છે • 1.72 કરોડ નોન સ્પેસિફિક એટલે કે સાંધા, સોફ્ટ ટીસ્યુ જેમાં એડી, પીઠ, ખભાના દુખાવાથી પીડાય છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:20 am

ભાસ્કર એક્સક્લુસિવ:42 કારમાં 21 યુગલનો વરઘોડો નીકળશે, રીસેપ્શન પણ થશે

મણિનગરના ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સિંધી સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ વર્ષે 21 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્નોત્સવમાં લગ્ન તો નિ:શુલ્ક કરાવાશે જ. સાથેસાથે સમૂહ રીસેપ્શન પણ થશે. ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક કન્યાને સોનાનું મંગળસૂત્ર સહિત 65 વસ્તુનું અંદાજે 1 લાખ રૂપિયાનું કરિયાવર અપાશે. મણિનગરસ્થિત એલ. જી. હૉસ્પિટલ સામેની વ્યાયામ શાળામાં સમૂહ લગ્નોત્સવ યોજાશે. સામાન્ય રીતે વરનો જ વરઘોડો નીકળતો હોય છે પરંતુ આ લગ્નોત્સવમાં કન્યાનો પણ વરઘોડો નીકળશે. 21 યુવક અને 21 યુવતીનો 42 કારમાં વરઘોડો નીકળશે. તેમાં યુવતીને રૂફટોપ પર ઊભી રાખીને યાત્રા કરાવાશે. એ સિવાય, 21 યુગલનું સમૂહ રીસેપ્શન પણ યોજાશે. ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટના રાજુ એલ. વાસવાણીના કહેવા પ્રમાણે ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 14મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ પહેલાંના 13 લગ્નોત્સવમાં કુલ 644 કન્યાનાં લગ્ન કરાવાયાં છે. ટ્રસ્ટ દ્વારા એક રૂપિયો પણ લીધા વિના લગ્નવિધિ કરાવવા સાથે કરિયાવર આપવામાં આવે છે. વર અને કન્યાના 50-50 સગાંને પણ નિ:શુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. કન્યાને સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીક્યારો અપાય છે. ચા પીતાં વિચાર આવ્યો અને પિતાવિહોણી 92 દીકરીનાં લગ્ન કરાવ્યાં, આજે 14નાં થશેનરોડાની તુલસી ક્યારો સમિતિના યુવકો રવિવારે 14 પિતાવિહોણી દીકરીનાં લગ્ન કરાવશે. છત્રછાયા ગુમાવનારી દીકરીઓના પિતા બની કન્યાદાન કરી આશીર્વાદની સાથે ઘરવખરી, સોના-ચાંદીની ભેટ પણ આપશે. 6 વર્ષથી સમિતિ પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવે છે. અત્યાર સુધીમાં 92 દીકરીનાં લગ્ન કરાવ્યાં છે. સમિતિના જગત પટેલે જણાવ્યું કે, 6 વર્ષ પહેલાં ચા પીતાં-પીતાં 10 મિત્ર વચ્ચે દીકરીના લગ્ન પાછળ થતા ખર્ચની ચર્ચા ચાલી. તેમાંય પિતાવિહોણી દીકરીઓની દશાની ચર્ચામાં વિચાર આવ્યો કે પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન આપણે કરાવવા અને તમામ ખર્ચ એક પછી એક મિત્રે કરવો. પ્રથમ 2019માં 8 દીકરીનાં લગ્ન કરાવ્યાં. તે પછી અનેક યુવાનો જોડાતા ગયા. આ વર્ષે તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રુપ દ્વારા માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 14 દીકરીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો છે. પોતાના પિતાની જેમ દીકરીના લગ્ન ઉમંગભર્યા કરાશે. હરિસિંહ વાઘેલા, ઉજ્જ્વલ પટેલ, તારીક પરીખ સહિતના અગ્રણીઓની મદદથી એણાસણ ગામના શાંતમ પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્ન યોજાશે. જેમાં કોઈ સ્ટેજ તૈયાર કરાતું નથી કે કોઈનું સન્માન પણ કરાતું નથી. વર-કન્યા પાસેથી લીધેલી ફી ભેટસ્વરૂપે પરત કરાય છેસિંધી સમાજના મધ્યમ વર્ગના પરિવારો સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેતા હોય છે. ફોર્મ ફી પેટે યુવતી પાસેથી 1100 રૂપિયા અને યુવક પાસેથી 2100 રૂપિયા લેવામાં આવે છે પરંતુ રીસેપ્શન ટાણે કન્યાને ટ્રસ્ટ દ્વારા ભેટરૂપે પર્સ આપવામાં આવે છે. રાજુ વાસવાણીએ કહ્યું કે ખાલી પર્સ આપવાનું અશુભ કહેવાય એટલે કન્યા પાસેથી લીધેલા 1100 રૂપિયા પર્સમાં મૂકીને આપીએ છીએ. એ જ રીતે, સિંધી સમાજની ડીખની વિધિમાં વરને ચલણી નોટ પહેરાવવાનો રીવાજ છે. એટલે યુવક પાસેથી ફી પેટે લીધેલા 2100 રૂપિયાનો જ હાર યુવકને પહેરાવીને રૂપિયા પરત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:20 am

સન્ડે ફોટો સ્ટોરી:પાટણ પાલિકામાં મુલાકાતી કક્ષ બનેલ રૂમ ફરી ઉપપ્રમુખની ઓફિસ બન્યો

પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરના હુકમથી ઉપપ્રમુખની ઓફિસ રાતોરાત ખાલી કરાવી મુલાકાતી કક્ષ બનાવી દેવામાં આવ્યો હતો. આ બાબતે ભાજપના જ બે જૂથો વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા પક્ષની છબી ખરડાઈ રહી હોય ભાજપ પ્રદેશ અને જિલ્લા સંગઠન દ્વારા બન્ને જૂથમાં સમાધાન કરાવતા શનિવારે પાલિકામાં મુલાકાતથી કક્ષ બનાવેલ રૂમમાં ફરીથી સભ્યો દ્વારા ઉપ-પ્રમુખની ઓફિસ બનાવીને તેમને આતિશબાજી સાથે હિનાબેન શાહને પ્રવેશ અપાવ્યો હતો. ત્યારે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં તેમના કરેલા હુકમ માત્ર હવે કાગળ ઉપર રહ્યો હતો.પ્રથમવાર પાલિકામાં આ રીતે ઉપપ્રમુખની ચેમ્બર રાતોરાત ખાલી થયા બાદ ફરીથી શરૂ કરવામાં આવી હોય તેવો કિસ્સો બન્યો હોય શહેરમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો. ઘરકામ, ખેતી કામ તો કોઈ કોલેજ છોડી‎ખાતર માટે કલાકો લાઈનમાં લાગે છે‎ફતેગઢ ગામના ખેડૂત ઠાકોર કાકુજી લીલાજીએ‎જણાવ્યુ હતું કે સિઝન ટાણે ખાતર મળતું નથી અને‎વહેલી પરોઢે ત્રણ વાગ્યે તમામ કામ છોડીને અત્યારે‎ખાતર લેવા લાઈનમાં ઊભા રહેવું પડયું છે. વાયડના‎ખેડૂત પુત્ર કમલેશજી બળવંતજી ઠાકોર કોલેજ જવાનું‎બંધ રાખી ખાતર લેવા લાઈનમાં ઊભા રહ્યા છીએ.‎અછત હોવાને કારણે નંબર આવે ત્યાં સુધીમાં ખાતર‎ખતમ થઈ જશે તેવી સતત ચિંતા રહે છે. મેલુસણના‎મહિલા રૂપબેન રબારીએ જણાવ્યું હતું કે સતત 5‎કલાકથી ખાતર માટે લાઈનમાં ઊભા છીએ શું કરીએ‎ઘર કામ કરવું કે પછી પશુઓ માટે ઘાસચારો લાવવો‎બધું કામ પડ્યું છે‎

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:18 am

ફોર્મ અટવાયા:સ્થળાંતર કરીને પાટણમાં વસેલા લોકોને 2002ની યાદીની વિગતો ના મળતા ફોર્મ ભરવામાં અટવાયા

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત શનિવારે પાટણ જિલ્લાના 1222 મતદાન મથકો પર સવારે 9:00થી 01:00 સુધી ખાસ કેમ્પ કર‌ગસ હતો.જેમાં મતદાન મથક ઉપર ખાસ કરીને અન્ય જિલ્લા કે રાજ્યમાંથી સ્થળાંતર કરી પાટણમાં વસેલા મતદારોને ગણતરી ફોર્મ ભરવા માટે 2002ની મતદાર યાદીની વિગતો ન મળતાં બીએલઓની મદદ માટે આવતા જોવા મળ્યા હતા.પરંતુ બીજા જિલ્લામાં નામ ચાલતું હોય તેવાં દરેક મતદારોને વિગતો મળી ન હતી. કેટલાક બીએલઓએ તેમની રીતે વિગતો મેળવી લેવા માટે મતદારોને કહ્યું હતું.જેથી ફોર્મ ભરવામાં અટવાઈ પડ્યા છે પાટણ શહેરનાં ભૈરવ વિસ્તારના શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતાં મનહરલાલ ખત્રી તેમના પરિવારના 9 સભ્યોના ફોર્મ બીએલઓને આપવા માટે આદર્શ હાઇસ્કૂલ ખાતે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ઘરે કોઈ ફોર્મ લેવા માટે આવ્યું ન હોવાથી તેઓ આપવા આવ્યા છે.પરંતુ તેમના ભત્રીજાની વહુનાં માતા પિતાની 2002ની મતદાર યાદીની વિગતો મળતી નથી. તેની તેઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા. આ સિવાય અહીંયા વડીલ હસમુખભાઈ ઠક્કર પણ આવેલા હતા તેઓ 2002માં કાંકરેજ જિલ્લામાં પોસ્ટ માસ્તર તરીકે નોકરી કરતા હતા તેમના પરિવારની 2002ની મતદાર યાદીની વિગતો મળતી ન હોવાથી તેઓ જુદા જુદા ડોક્યુમેન્ટ સાથે લઈ આવ્યા હતા બીએલઓએ તેમની વિગત મેળવવા માટે ઓનલાઇન પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળતી ન હતી.એટલે તેઓ જાણે અટવાઈ પડ્યા હોય તેવું અનુભવી રહ્યા હતા. તેમજ અનેક મતદારોને તેમના નામ , અટક કે સરનામા ભૂલ હોય ફોર્મ ભરવામાં મૂંઝવણ અનુભવતા હોયની BLOની મદદથી મુંઝવણ દૂર થતા ફોર્મ ભર્યા હતા. પટેલ પરિવાર ના તમામ સભ્યોના નામની પાછળ અટક ઠાકોર લખાયેલી હતી મહિલા મતદાર મનિષાબેન પટેલ છે અને 2002ની યાદીમાં તેમના આખા પરિવારની અટક ઠાકોર લખેલી છે. એટલે તેમણે સરીયદની આખા ગામની મતદાર યાદી બે દિવસ સુધી ચેક કરી ત્યારે તેમને તેમના પરિવારની વિગતો મળી છે. પટેલના બદલે ઠાકોર અટક લખેલી હોવાથી તેમને વિગતો શોધવામાં ખૂબ તકલીફ પડી છે. ત્યારે હવે આ ગણતરી ફોર્મમાં 2002ની વિગતોમાં તેમને તેમની અટક પટેલ લખવી કે ઠાકોર બતાવવી તેની મૂંઝવણ હતી. જોકે બીએલઓએ 2002ની વિગતો રાખવા માટે સલાહ આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:15 am

ભાસ્કર એનાલિસીસ:ધારપુર સિવિલમાં બાળક બદલાયાના આક્ષેપના બે દિવસ પછી પરિવારે દીકરી સ્વીકારી

ધારપુર સરકારી હોસ્પિટલમાં નવજાત બાળક સાથે માતાને સારવાર માટે દાખલ કર્યા બાદ પરિવારે જન્મજાત બાળક સિવિલમાં બદલાઈ ગયું હોવાના આક્ષેપ સાથે સ્ટાફ દ્વારા આપેલ બાળકના સ્વીકારી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ચકચાર મચી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકને બદલીના આક્ષેપને ગંભીરતાથી લઈ તાત્કાલિક કમિટી બનાવી તપાસ શરૂ કરાવી હતી. શહેરમાં મોતીસા દરવાજા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને 13 નવેમ્બરે પ્રસૂતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સમાં ધારપુર સિવિલમાં લઈ જવામાં નીકળી હતી. રસ્તામાં ઊંઝા ત્રણ રસ્તા નજીક પહોંચતાં અતિશય પીડા ઉપડતાં પ્રસૂતિ કરાવી પડે તેવી સ્થિતિ સર્જાતાં એમ્બ્યુલન્સમાં ઇ‌એમટીએ ડીલીવરી કરાવતાં મહિલાએ બાળકને જન્મ આપતા નવજાત બાળકને તેમની સાથે આવેલાં તેમનાં સંબંધી મહિલાના હાથમાં આપ્યું હતું. મહિલામાં કહેવા પ્રમાણે તેમણે બાળકને જોયું ત્યારે બાબો હતો. બાદમાં બાળક અને તેની માતાને ધારપુર સિવિલમાં લાવી બાળકને ડોક્ટર દ્વારા પેટીમાં રાખવાનું કહેતાં મહિલાની સંબંધીએ જાતે બાળકને પેટીમાં મૂકી આવ્યા હતા. રાત્રે 1:00 બાળકને પરત આપ્યું હતું પરંતુ ત્યારે તેમને ખબર ન હતી કે આ બાળક બાબો આપ્યો છે કે બેબી પણ સવારે 9:00નાં અરસામાં બાળકે સંડાસ કરતાં તેમણે જોયું ત્યારે જાણ થઈ હતી કે આ બાળક તો બાળકી છે. ત્યારે તેમણે હોસ્પિટલને ફરિયાદ કરી હતી કે તેમને દીકરા છે.અને દીકરી કેમ આપી છે.તેમણે બાળકીને સ્વીકારી ન હતી જેને પગલે હોસ્પિટલનો સ્ટાફ મૂંઝવણમાં મુકાયો હતો.આ બાબતે ન્યાયિક તપાસ કરવા માટે તેમણે ધારપુર હોસ્પિટલ અને રણુંજ પોલીસ મથકે પણ અરજી આપી હતી. બે દિવસ સુધી હોસ્પિટલમાં બદલીના પ્રકરણમાં અંતે મહિલાના પરિવાર દ્વારા શનિવારે સાંજે નવજાત બાળક મહિલાની મોટી 15 માસની દીકરી જેવી સુરત ધરાવતી હોય તેની જ દીકરી હોવાનું માનીને તેને સ્વીકારવા માટે સંમત થયો હોવાનું પરિવારના એક સભ્યે જણાવ્યું હતું જેથી વિવાદનો અંત આવ્યો હોવાનું સામે આવ્યું હતું. માતાના ઇન્કારથી નવજાત બાળકી બે દિવસ માતાથી દૂર રહેતા નર્સ માતા બની સંભાળીમાતા નવજાત દીકરીને પોતાનું સંતાન ના માની સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.જેથી 14 અને 15 નવેમ્બર બે દિવસ દરમિયાન આ નવજાત બાળકી માતાથી દૂર રહી હતી. અને સિવિલના નર્સ દ્વારા તેનું માતા સમાન માવજત કરી હતી. તેની જાળવણી કરી હતી.વિવાદના કારણે નવજાત બાળકી બે દિવસથી માતાનાં સ્તનપાનથી વંચિત રહી હતી. ફસ્ટ પર્સન : મેં ડીલીવરી કરાવી બાળકીનો જન્મી હતી108 એમ્બ્યુલન્સના ઇએમટી સમીરભાઈ સિંધીએ જણાવ્યું હતું કે નીતાબેન પટ્ટણીની ડીલીવરી તેમણે જાતે જ કરાવી હતી.અને તેમણે બેબીને જન્મ આપ્યો હતો. મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે બાળકી જ હતી તે મેં કન્ફર્મ પણ કર્યું હતું.કારણ કે મારે રજિસ્ટરમાં નોંધ કરવાની હોય છે. અને મેં તેની નોંધ પણ કરેલી છે. ઇન્કવાયરી કમિટી તપાસ કરશે : RMOધારપુર સિવિલનાં આરએમઓ રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ ઘટનાની સુપ્રિટેન્ડેન્ટને ફરિયાદ મળી છે.તેના આધારે ઇન્કવાયરી કમિટી બેસાડી છે. કમિટી નિવેદનો લઈને તપાસ રિપોર્ટ આપશે અને તેનાં આધારે આગળની કાર્યવાહી થશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:14 am

જસ્ટિસના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો:બાર કાઉન્સિલે સુપ્રીમ કોર્ટના 2 જસ્ટિસનું અભિવાદન કર્યું

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સુપ્રીમ કોર્ટના 2 જસ્ટિસ નિલય અંજારિયા અને જસ્ટિસ વિપુલ પંચોલીના અભિવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો. જસ્ટિસ વિપુલ પંચોલીએ જુનિયર વકીલોને સલાહ આપી હતી કે નસીબના જોરે નહીં પણ મહેનતના જોરે વકીલાત કરશો તો સફળ થશો. જસ્ટિસ નિલય અંજારિયાએ પણ શિસ્તબદ્ધ રહીને નીતિપૂર્વક વકીલાત કરવા સલાહ આપી હતી.બાર એન્ડ બેંચ વચ્ચે સારા સંબંધો રાખવા જજીસનું સન્માન જાળવવું જોઈએ. વકીલોએ ગુજરાત હેરાલ્ડનો લાભ લેવો જોઈએ. આ પ્રસંગે એડીશનલ સોલીસીટર જનરલ એસવી રાજુ,બીસીઆઇના ચેરમેન મનન કુમાર મિશ્રા,સોલીસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે. જે. પટેલ અને અનિલ કેલ્લાએ કર્યું હતું. ભાસ્કર નોલેજરાજ્યના 3 જજ SCમાંગુજરાત હાઈકોર્ટમાંથી અત્યાર સુધી અનેક જસ્ટિસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી છે. તેમાં જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ જે. બી. પારડીવાલા, જસ્ટિસ બેલા ત્રિવેદીની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરાઈ હતી. અત્યારે ગુજરાતના 3 જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:10 am

સંકલન બેઠક:સંકલન બેઠકમાં આવેલા ધારાસભ્યોએ પ્રશ્ન ન પૂછ્યા, પણ ગેરહાજરે પૂછ્યા

કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 21માંથી શહેર જિલ્લાના કુલ 9 ધારાસભ્યે હાજરી આપી હતી. તેઓ દ્વારા સરકારી જમીન પર દબાણ, જર્જરિત સરકારી ચાવડી અંગે કુલ 53 પ્રશ્ન પૂછ્યા હતા. જેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્યે 5 વર્ષમાં કેટલા મતદારો જોડાયા તેના વિશે પ્રશ્ન પૂછ્યો હતો. મણિનગરના ધારાસભ્ય દ્વારા ઘોડાસરની જર્જરિત સરકારી ચાવડી અંગેનો પ્રશ્ન, ખાનવાડીના તળાવમાં થયેલ દબાણ અંગેનો પ્રશ્ન, જનતાનગર તળાવને મ્યુનિ.ને સોંપવાની કામગીરી અંગે પ્રશ્નો પુછવામા આવ્યા હતા. ત્યારે મહત્વનું છે કે જે ધારાસભ્યો આવ્યા હતા તેઓ દ્વારા પ્રશ્નો ન પુછવામા આવ્યા અને જે ધારાસભ્યો આવ્યા ન હતા તેઓ દ્વારા પ્રશ્નો પુછવામા આવ્યા હતા. જે ધારાસભ્યો હાજર ન રહ્યા હતા તેઓના પ્રશ્નોનો જવાબ સાંભળવા માટે કોઈ હાજર રહ્યું ન હતું. દરેક વખતે કલેક્ટર કચેરી ખાતે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર જ રહેતા હોય છે. વેજલપુરના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પુછાયો કે ઈસ્કોન જંક્શન પર લોકોને એસટી બસ પકડવા માટે બસ સ્ટેન્ડ પર સુવિધાઓ નથી. જેનો જવાબ અપાયો કે વિભાગમાંથી મંજૂરી આપતા વધુ લોકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામા આવશે. ધારાસભ્યોએ 53માંથી 40 પ્રશ્ન ફરી વાર પૂછ્યાધારાસભ્યોએ પૂછેલા 53માંથી 40થી વધુ પ્રશ્નો રિપિટ થયા હતા. જે પ્રશ્નો 4 મહિનાથી દર વખતે પૂછાતા હોય છે. અધિકારીએ જણાવ્યું કે તેઓ પાસે પ્રશ્નો હોતા નથી, માત્ર પ્રશ્નોની ગણતરી વધારવા માટે અગાઉ પુછાયેલા પ્રશ્નો ફરીથી પૂછાતા હોય છે. લોકો સંબંધિત હોય એવા પ્રશ્નો ધારાસભ્યો મોકલી દેતા હોય છે પણ તેનો ઉકેલ મળે ત્યારે તેઓ હાજર રહેતા નથી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:05 am

કેન્દ્રિય ગૃહ મંત્રાલય 258 જગ્યા ભરશે:ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યા પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોની 258 જગ્યા પર જાહેર કરેલી ભરતી માટે અરજી કરવા 16 નવેમ્બરે છેલ્લો દિવસ રહેશે. આ જગ્યા વર્ગ-2ની રહેશે. જેમાં કમ્પ્યુટર સાયન્સની 90 અને ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનની 168 જગ્યા ભરાશે.પસંદગી બાદ ઉમેદવારોનો પગાર 7માં પગાર પંચ મુજબનો રહેશે. જે 44,900થી 1,42,400 રહેશે. અરજી કરનાર ઉમેદવારે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફ્રોમેશન ટેકનોલોજી વિષય સાથે ગેટ-2023 અથવા 2024 અથવા 2025માં ક્વોલિફાઇ થયેલા હોવા જોઇએ.અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અરજી કરનારા ઉમેદવારોએ રૂ. 100ની અરજી ફી ભરવાની રહેશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકશે. જ્યાંથી ઉમેદવારોને સંપુર્ણ માહિતી મળશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:04 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:જીટીયુ ડુપ્લિકેટ પેપર રોકવા ઓનલાઇન પેપર મગાવશે

જીટીયુ સિવિલ એન્જિ.નિયરીંગના સેમેસ્ટર 7માં પુછાયેલું પ્રશ્ન પેપર ગયા વર્ષનું આપી દેવા મુદ્દે કડક પગલા લેશે. જીટીયુ પેપર સેટ કરનારા સરકારી કોલેજના પ્રોફેસર સામે ફરજમાં બેદરકારી રાખવા અંગે પગલા લેવા ટેકનિકલ એજ્યુકેશનમાં ભલામણ કરશે. સોમવારે 2 તજજ્ઞ પ્રોફેસરોની એક કમિટી બનાવાશે. જે ઘટનાની તપાસ બાદ શિક્ષણ વિભાગને પ્રોફેસર સામે પગલા લેવાની ભલામણ કરશે. હવે જીટીયુ ઓનલાઇન પેપર મંગાવશે, જે એઆઇની મદદથી ઓનલાઇન ચેક થશે. આ માટે આખી સિસ્ટમ તૈયાર કરાઇ છે. હવે પ્રશ્ન પેપર માટે એક ખાસ સિસ્ટમ તૈયાર કરાશે. જેને આધારે પેપર ઓનલાઇન ચેક થયા બાદ પેપર પ્રિન્ટિંગ માટે મોકલાશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:03 am

શહેરમાં જીડીજી ડેવફેસ્ટનું આયોજન:‘કોઈ પણ ક્ષેત્રમાં હવે એઆઈ અનિવાર્ય છે’ ડેવફેસ્ટમાં દેશભરમાંથી ડેવલપર આવ્યા

શહેરમાં જીડીજી ડેવફેસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં ડેવલપર્સ માટે નવી ટેકનોલોજી, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ અને નેટવર્કિંગના અનોખા અનુભવ સાથે આયોજિત કરાયું. ગૂગલની કટિંગ એજ ટેકનોલોજીને નજીકથી શીખવા માટે પ્લેટફોર્મ યુવાનોને અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ભાગે લીધો હતો. વિદ્યાર્થીઓ એઆઇ શીખીને સારો પગાર મેળવી શકે છેકોઇપણ ક્ષેત્રમાં આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ (AI) અનિવાર્ય બની ગયું છે. આવનાર સમયમાં જો કોઇ વ્યક્તિને આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ નહીં આવડતો હોય તો તેઓ આગળ નહીં વધી શકે. સ્ટુડન્ટ્સ પણ તેમના ક્ષેત્રમાં આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ (AI)નો અભ્યાસ કરીને તેમના ક્ષેત્રમાં સારી સેલેરી મેળવી શકે છે. - પરેશ માયાણી, ગુગલ ડેવલપર મીટ અમદાવાદના ફાઉન્ડર આવનારા સમયમાં આ ક્ષેત્રોમાં નોકરીની વધુ તક રહેશેચેટબોટ્સ, ઓટોમેશન, AI મોડેલ્સ બનાવવા - સાયબર સિક્યોરીટી અને સિક્યોર કોડિગ - ડેટા અને એપ્લિકેશન સુરક્ષિત રાખવા - કલાઉન્ડ કોપ્યુટીંગ - મલ્ટી પ્લેટફોર્મ એપ બનાવવા - ડેટા સાઇન્સ એન્ડ ડેટા એન્જિયરીંગ - બીગ ડેડા, એનાલીટીક્સ ફિલ્ડમાં નોકરીની તક વધશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:02 am

સન્ડે બિગસ્ટોરી:હું કિન્નર નથી, સામાન્ય સ્ત્રી છું

છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશભરમાં લિંગ પરિવર્તન સંબંધિત નોંધણીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ, 2019 બાદ નોંધણી પ્રક્રિયા સરળ બની હોવાથી વધુ લોકો પોતાની ઓળખ જાહેર કરી રહ્યા છે. નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ મુજબ, દેશમાં 30 હજાર ટ્રાન્સ વ્યક્તિ નોંધાઈ છે. કેન્દ્રની સ્માઇલ વેબસાઇટના અનુસાર આ મામલે ગુજરાત દેશમાં 7મા ક્રમે છે. રાજ્યમાં 1784 ટ્રાન્સ વ્યક્તિ નોંધાઈ છે, જેમાંથી માત્ર શહેરમાં જ 354 છે. લિંગ પરિવર્તન માટે સિવિલ હોસ્પિટલમાં મહિને સરેરાશ એક કેસ આવે છે. જ્યારે ખાનગી હોસ્પિલોમાં મહિને અંદાજે 4થી 5 કેસ નોંધાય છે. ભાસ્કર ફર્સ્ટ પર્સનજેન્ડર ચેન્જ પછી ગઈ તો કોઈએ ન સ્વીકારી, શરીર બદલવું સરળ, સમાજનો દૃષ્ટિકોણ બદલવો મુશ્કેલહું શરીરથી પુરુષ હતો, પણ આત્માથી સ્ત્રી છું. નાનપણથી જ મને સ્ત્રીની જેમ રહેવું ગમતું. પરિવારને આમાં જરાય વાંધો ન હતો, પણ જ્યારે મેં ઓપરેશનની વાત કરી તો મારા ઘરમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. પરિવાર મને ઘરમાંથી કાઢી મૂકવા સુધીનું કહ્યું હતું. મારા ફોઈએ મારા માટે છોકરી પણ શોધી લીધી હતી. હું એ હદે હેરાન થતી હતી કે માનસિક રીતે તૂટી ગઈ. હું અડગ રહી અને ઘર છોડ્યું. નોકરી હોવાથી આર્થિક રીતે સંભાળી લીધું. સર્જરી બાદ જ્યારે નવી ઓળખ સાથે ઓફિસ ગઈ તો લોકો મને સ્વીકારી ન શક્યા. મને સમજાયું કે શરીર બદલવું સરળ છે, પણ સમાજનો દૃષ્ટિકોણ બદલવો સૌથી મુશ્કેલ છે. સમલૈંગિક હોવું સામાન્ય થઈ ગયું છે, પણ તેવી પર્સનાલિટી સાથે જીવવું ઘણું અધરું છે. હું કિન્નર નથી, સામાન્ય સ્ત્રી છું. મારી પાસે સ્ત્રી હોવાનું પ્રમાણપત્ર પણ છે છતાં મને સમાજ એક સ્ત્રી તરીકે જોતો નથી. મને લોકો કિન્નર સમજીને પગે લાગે છે, જે મને નથી ગમતું. હું સામાન્ય સ્ત્રી તરીકે જીવવા માગું છું. મારી ઘડિયાળની દુકાન છે અને જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે, પણ દુ:ખ એ છે કે મને હજુ લોકો કિન્નર તરીકે જુએ છે. (નીતિકા દંડ સાથેની વાતચીતને આધારે)​​​​​​​ > દેવાંશી, અગાઉનું નામ ધવલ​​​​​​​ લિંગ પરિવર્તનમાં માત્ર એક નહિ, અનેક સર્જરીઓ છે, 6 મહિના કાઉન્સેલિંગ ચાલે છેશહેરના જાણીતા પ્લાસ્ટિક સર્જન ડૉ. હર્ષ અમીનના જણાવ્યાનુસાર, સૌપ્રથમ તો 6 મહિના કાઉન્સેલિંગ ચાલે છે. તેમાં હોર્મોન્સ ચેન્જનાં ઇન્જેક્શન અપાય છે. તેની સાથે હેરલાઇન, ફેસ, ચેસ્ટ, બટ, કમર સહિતની સર્જરી થાય છે. હેર ગ્રોથ ન થાય અને થાય તે બંનેની સર્જરી પણ કરવી પડે છે, જે જેન્ડર અનુસાર હોય છે. સ્ત્રીમાંથી પુરુષ બનવાની સર્જરી ક્રિટિકલ છે, પણ શક્ય છે.​​​​​​​ લિંગ પરિવર્તન કરાવવા મામલે ગુજરાત દેશભરમાં 7મા ક્રમે છે, નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 1784 ટ્રાન્સ વ્યક્તિ નોંધાઈ છે સોશિયલ મીડિયા અને ઓનલાઇન સપોર્ટ ગ્રૂપ તેમનું મનોબળ વધારી રહ્યાં છે, પરિવારને સમજાવવો પડે છેસોશિયલ મીડિયા અને ઓનલાઇન સપોર્ટ ગ્રૂપ દ્વારા લોકો મનોબળ મેળવી રહ્યા છે. પહેલાં અમને આ પ્રકારની સર્જરીમાં તેમને સ્વજનો ન જોડાય તે માટે સમજાવવા માટે દબાણ કરાતું હતું, પરતું હવે આ નિર્ણય માટે હવે અમારે તેમનાં માતાપિતા કે તેમના પરિવારજનોને સમજાવવા પડે છે કે આ કુદરતી છે અને તેમના નિર્ણયને સ્વિકરાવું જોઈએ. સ્પંદન ઠાકર, મનોચિકિત્સક​​​​​​​ કલમ 377 રદ થઈ એ સમાજમાં પરિવર્તનનું એક પગથિયું બન્યું, લોકો નિ:સંકોચ બહાર આવે છેકલમ 377 રદ થયાને આઠ વર્ષ થયાં છે છતાં આંકડામાં વધારો એ સકારાત્મક સંકેત છે. હવે લોકો જાહેરમાં તેનો સ્વીકાર કરી રહ્યા છે. સરકાર અને સમાજ બંને સાથે આવે તો આ પ્રક્રિયા સમાજિક રીતે વધુ સફળ થઈ શકે અને સરકાર પણ સહકાર આપતી થઈ છે. ડો. ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી​​​​​​​

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:01 am

અકસ્માત:કાનપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે રોટાવેટરમાં ફસાતાં યુવકનું મોત

અમીરગઢ તાલુકાના કાનપુરા ગામનો યુવક હનુમાનદાદાના મંદિરે સવારના દર્શન કરી ઘરે પરત ફરતો હતો ત્યારે ખેતરમાં ખેડાણ કરી રહેલા ટ્રેક્ટરે તેને અડફટે લીધો હતો. જેમાં યુવક ટ્રેક્ટરની પાછળ લગાડેલા રોટાવેટરમાં સપડાતા તેના હાથ, પગ, ગળા અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક સ્થળ ફરાર થઈ ગયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. અમીરગઢ તાલુકાના કાનપુરા (હોળીવાસ) ગામના હીમાભાઈ મંછાભાઈ માણસા 30 ઓક્ટોબર 2025 ના રોજ સવારમાં ગામના હનુમાનદાદાના મંદિરે દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ગામના ભુરાભાઈ ભોમાભાઈ દામાના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર મારવાનું કામ ચાલી રહ્યું હતું.જે ટ્રેક્ટર નંબર જીજે-31-બીબી-1587 ચલાવતા શબ્બીરભાઈ નજીરભાઈ માણસીયા (રહે. વીરમપુર) એ ટ્રેક્ટરને બેદરકારીથી ચલાવતા હીમાભાઈને હડફેટે લીધા હતા. જેમાં હીમાભાઈ હડફેટમાં આવતા નીચે પડી ગયા હતા અને ટ્રેક્ટરના પાછળના ચકરા તેમજ રોટાવેટરમાં ગંભીર રીતે ફસાઈ જતા તેમનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને નાસી ગયો હતો. લોકોએ મૃતકને રોટાવેટરમાંથી બહાર કાઢી તરત જ વીરમપુર સરકારી દવાખાને ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતકના પિતા મંછાભાઈ ભુતાભાઈ માણસાએ શુક્રવારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:00 am

સુરત GSRTC બસ ટર્મિનલના 2 માળનો ડ્રોન નજારો:બસ ટર્મિનલમાં 44 બોર્ડિંગ સાથે મુસાફરોને હાઈટેક સુવિધા; રેલવે સ્ટેશનથી બસ-મેટ્રોની સીધી કનેક્ટિવિટી, 5 કિમીનો એલિવેટેડ રોડ

ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે વિશ્વવિખ્યાત સુરત શહેર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સ્પોર્ટેશન ક્ષેત્રમાં દેશનું અગ્રણી મોડેલ બનાવ હરણફાળ ભરી રહ્યું છે. સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઇન્ટરનેશનલ એરપોર્ટ સમકક્ષ બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા 1,476 કરોડના ખર્ચે રિડેવલપ થઈ રહ્યું છે. પહેલું એવું રેલવે સ્ટેશન જ્યાં મેટ્રો-બસની પણ કનેક્ટિવિટીરેલવે, એસ.ટી. બસ, મેટ્રો રેલ તથા BRTS અને સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધાઓ એક જગ્યાએથી મળી શકે તે માટે MMTH (મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ સાથે બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ કામગીરી વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રોજેક્ટના ફેઝ-1નું 50% અને ફેઝ 2નું 15% કામ પૂર્ણજોકે, MMTH પ્રોજેક્ટ ફેઝ-1નું 50 ટકા અને ફેઝ 2નું અંદાજે 15 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશનની સાથે GSRTC ટર્મિનલ ઉપર બનતા 25 માળના કોમર્શિયલ બિલ્ડિંગના બેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે. GSRTC બસ ટર્મિનલના તૈયાર 2 માળનો આકર્ષક ડ્રોન નજારો સામે આવ્યો છે. આ બંને પ્રોજેક્ટ મળી સુરતને 'વન-કનેક્ટ' સિટી બનાવશે. મુસાફરોને એક જ સ્થળે ટ્રાન્સ્પોર્ટેશનની તમામ સુવિધાદેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી પ્રોજેક્ટ કરી રહ્યા છે. રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ કનેક્ટ કરવામાં આવી રહ્યું છે. મુસાફરો માટે BRTS-સિટી બસ ટર્મિનલ, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, એલિવેટેડ કોરિડોર, સ્કાયવોક્સ વગેરે સુવિધાઓને મળશે. જેથી કોઈપણ મુસાફર કોઈપણ પરિવહન માધ્યમથી આવીને સ્ટેશનની બહાર નીકળ્યા વિના સરળતાથી અન્ય ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા મેળવી શકશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:00 am

આવતીકાલથી નવી સિરીઝ ‘લક્ષાધિપતિ’:ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિઓની દિલધડક દાસ્તાન, કાલથી દરરોજ દિવ્ય ભાસ્કર એપ પર

ગુજરાત પહેલેથી જ વેપાર, સાહસ અને સપનાંની ધરતી રહી છે. આ બહુરત્ના વસુંધરાએ એવા ઉદ્યોગપતિ આપ્યા છે, જેણે માત્ર અબજો રૂપિયાની સંપત્તિ જ નહીં, બલકે લોકોનો પ્રેમ પણ કમાયો છે. ગુજરાતની ધરતીમાંથી પેદા થયેલા આવા મુઠ્ઠી ઊંચેરા ઉદ્યોગપતિઓની લાઇફસ્ટોરીની એક ખાસ સિરીઝ આવતીકાલથી દિવ્ય ભાસ્કર એપ પર શરૂ થવા જઈ રહી છે, જેનું નામ છેઃ ‘લક્ષાધિપતિ’. આ સિરીઝમાં ગુજરાતને ઇસ્ટનું માન્ચેસ્ટર બનાવવામાં સિંહફાળો આપનારા કસ્તૂરભાઈ લાલભાઈ, વિજ્ઞાન અને ઉદ્યોગનો સેતુ બનનારા અંબાલાલ સારાભાઈ, ફાર્માસ્યુટિકલ્સ અને ઊર્જા ક્ષેત્રે બુલંદીઓ હાંસલ કરનારા યુ. એન. મહેતા, ‘નિરમા’ વૉશિંગ પાઉડર થકી દેશનાં ઘરેઘરમાં પહોંચનારા કરસનભાઈ પટેલ, ધરતી પર પગ રાખીને આભને આંબનારા ગૌતમ અદાણી અને ઝીરોમાંથી અબજો રૂપિયાનું સામ્રાજ્ય ખડું કરનારા ધીરુભાઈ અંબાણીનો સમાવેશ થાય છે. આ સિરીઝ તેમના સંઘર્ષો, તેમણે કરેલાં ઇનોવેશન્સ, તેમનાં બુલંદ ઇરાદાઓ અને તેમની અજાણી પારિવારિક તથા કોર્પોરેટ ગાથા કહેશે. સપનાંને હકીકત બનાવનારા ગુજરાતી ઉદ્યોગપતિઓની આ સિરીઝ ‘લક્ષાધિપતિ’ આવતીકાલે સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર વાંચી શકશો.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:00 am

ગુજરાતના એવા હાઇવે જ્યાં જાણે 'યમરાજ' બેઠાં છે!:અહીંથી નીકળો તો સાવધાન રહેજો, 348 લોકોને કાળ ભરખી ગયો, આ રહ્યું જિલ્લાવાર લિસ્ટ

એક્સિડન્ટ....આ શબ્દ કદાચ તમારી રોજબરોજની જિંદગીમાં વણાઇ ગયો હશે કેમ કે દર 1, 2 દિવસે તે તમારા કાને પડતો હશે. તમારી આસપાસમાં ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે આ જગ્યાએ તો એક્સિડન્ટ થાય જ છે. 2022થી 2024 સુધીમાં ગુજરાતમાં 56 એવી જગ્યાઓ જાહેર થઇ છે જ્યાં ઉપરાઉપરી 5 અકસ્માત થયા હોય અથવા તો 10થી વધુ લોકોનાં મોત થયા હોય. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આ 56 જગ્યાઓ કઇ-કઇ છે. જો આમાંથી કોઇ જગ્યા તમારી આસપાસ હોય તો જ્યારે તમે ત્યાંથી પસાર થાઓ ત્યારે તમારૂં વાહન ધીમું ચલાવજો અને ખાસ સાવચેતી રાખજો. પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પર નજર રાખવા ગુજરાત સરકારે રોડ સેફ્ટી ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરિટી એક્સિડન્ટ્સનું ડિટેલમાં એનાલિસિસ અને ટેકનિકલ સ્ટડી કરે છે. સાથે જ અકસ્માત ન સર્જાય તે માટે શું-શું કરવું જોઇએ તે પણ સૂચવે છે. જે 500 મીટરના વિસ્તારમાં ઉપરાઉપરી 5 અકસ્માત થાય અથવા તો 10થી વધુ લોકોનાં મૃત્યુ થાય તો તે વિસ્તારને રોડ સેફ્ટી ઓથોરિટી બ્લેક સ્પોટ જાહેર કરે છે. 2022થી 2024 સુધીમાં ગુજરાતમાં આવા 56 બ્લેક સ્પોટ જાહેર થયા છે. છેલ્લા 3 વર્ષમાં સર્જાયેલા 443 અકસ્માતોમાં કુલ 348 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જગ્યા કઇ-કઇ છે તેનું આ રહ્યું લિસ્ટ..... બ્લેક સ્પોટ વિશે વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીષ પટેલ સાથે વાતચીત કરી હતી. સતીષ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડવા સરકારનું કામ છે. માર્ગ અકસ્માત ઘટાડવા માટેનું એક અગત્યનું પરિબળ બ્લેક સ્પોટને ઓળખવાનું છે. જે માર્ગો પર વાહનોની આવન-જાવન છે તેવા માર્ગો પરના 500 મીટરના વિસ્તારમાં 3 સળંગ કેલેન્ડર વર્ષમાં 5 કરતાં વધુ અકસ્માતો તથા 10 કરતાં વધુ મૃત્યુ થયાં હોય તેનો સર્વે કરાય છે પછી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાય છે. બ્લેક સ્પોટ શોધાયા બાદ શું થાય છે?'ગુજરાતમાં 2019, 2020, 2021થી બ્લેક સ્પોટનો સર્વે કરવાનું શરૂ કરાયું હતું. આજની તારીખમાં 460 જેટલાં બ્લેક સ્પોટની ઓળખ કરાઇ છે.' બ્લેક સ્પોટની ઓળખ થયા પહેલાં અને પછી શું-શું કાર્યવાહી થતી હોય છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જિલ્લા પોલીસ તંત્ર જે બ્લેક સ્પોટ શોધે છે તે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીને મોકલે છે. જેનું અમે ડિટેલ એનાલિસિસ અને ટેકનિકલ સ્ટડી કરીએ છીએ. આના પછી એ જગ્યા ખરેખર બ્લેક સ્પોટ છે કે નહીં તેનું ફાઇનલ આઇડેન્ટિફિકેશન થાય છે. આઇડેન્ટિફિકેશન સાથે જિલ્લા તંત્રને જાણ કરાય છે અને બ્લેક સ્પોટ સંબંધિત ટૂંકાગાળાના અને લાંબા ગાળાના શું-શું પગલાં લેવા જરૂરી છે તેની પણ જાણ કરાય છે. જિલ્લા તંત્રમાં કલેકટર તથા જિલ્લાના પોલીસ વડા અને શહેરના પોલીસ કમિશનર, આર.ટી.ઓ. અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારી પણ હોય છે. 'અમે જે ડાયરેક્શન આપીએ છીએ તેનું ફોલોઅપ તે લોકો કરે છે કે નહીં તેનો રિવ્યુ અમે કરતાં હોઇએ છીએ. સાથે સાથે આવા જે બ્લેક સ્પોટ આઇડેન્ટિફાય કર્યા છે તેવા બ્લેક સ્પોટની સ્થળ મુલાકાત પણ મહદઅંશે 60% થાય છે. બાકીના જિલ્લા તંત્ર દ્વારા પણ મુલાકાત લેવામાં આવતી હોય છે. સ્થળનો બરાબર અભ્યાસ કર્યા પછી એમાં ખરેખર શું કરવાની જરૂર છે અને અકસ્માતો ઘટે તે માટે ટૂંકાગાળાના અને લાંબાગાળાના શું પગલાં લેવાના છે તેનું ડિટેલ એનાલિસિસ કરવામાં આવતું હોય છે.' કોઇ જગ્યા બ્લેક સ્પોટ તરીકે જાહેર થાય એટલે તેની ગંભીરતા વધી જાયતેમણે ઉમેર્યું કે, કોઇ સ્થળ જ્યારે બ્લેક સ્પોટ જાહેર થાય ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. અત્યારસુધીમાં કુલ 460 જેટલાં બ્લેક સ્પોટ આઇન્ડેન્ટિફાય કરેલાં છે તેમાંથી 20 એવા છે જે સંપૂર્ણ રીતે નાબૂદ કર્યાં છે. બીજા બ્લેક સ્પોટ અમારી યાદીમાં છે પણ ખરેખર તે બ્લેક સ્પોટની યાદીમાં ગણવાપાત્ર નથી.છતાં પણ તેમાં સુધારાત્મક પગલાંને લીધે હવે અકસ્માતો ઘટી રહ્યાં છે. 'જ્યારે પહેલો સર્વે 2019, 2020, 2021માં કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં બ્લેક સ્પોટની સંખ્યા 265 જેટલી હતી. તે પછી 2020, 2021, 2022માં જે બ્લેક સ્પોટ આઇન્ડેન્ટિફાય થયા તેની સંખ્યા 87 થઇ. તે પછીના વર્ષ 2021, 2022, 2023માં આ સંખ્યા ઘટીને 52 થઇ. 2022, 2023, 2024માં આ સંખ્યા 56 થઇ. 2018માં ઓથોરિટીની સ્થાપના થઇ. પહેલીવાર અમે સર્વે કર્યો. ક્રમશઃ જોવા જઇએ તો બ્લેક સ્પોટની સંખ્યામાં ઘટાડો થયો છે.' અકસ્માત પાછળ જુદા-જુદા ઘણા કારણો જવાબદારઅકસ્માતો થવા પાછળના મુખ્ય કારણો જણાવતા તેમણે કહ્યું, હ્યુમન બિહેવિયર મોટી અસરકારક બાબત છે. ઓવર સ્પિડીંગ પણ હ્યુમન બિહેવિયરનો જ એક ભાગ છે. લોકોએ પણ પોતાના બિહેવિયરને સુધારવાની જરૂર છે. અકસ્માતો મોટા ભાગે માનવસર્જિત હોય છે. બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, ઓવરટેકિંગ, કેપેસિટી કરતાં વધારે પેસેન્જર બેસાડવાં આવા ઘણાં બધાં કારણો છે. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો, સીટબેલ્ટ ના બાંધવા, હેલ્મેટ ના પહેરવું આ બધાં કારણો માનવસર્જિત છે એટલે બિહેવિયર ચેન્જ કરવું તે પણ એક મહત્વનું છે. 'સાઇનેઝીસ યોગ્ય રીતે ન મૂકાયા હોય, વળાંકવાળી જગ્યાએ યોગ્ય રીતે ક્રોસ બેરિયર ન મૂક્યા હોય, ચાર રસ્તા પર યોગ્ય રીતે જંક્શન ન બનાવ્યા હોય, રબ્બર સ્ટમ્બ બરાબર ન બનાવ્યા હોય, રોડ માર્કિંગ બરાબર ન કરાયા હોય આવા કારણો પણ અકસ્માત માટે જવાબદાર હોય છે.' રોડની યોગ્ય ડિઝાઇન બનાવાય તો અકસ્માત ટળેતેમણે વધુમાં કહ્યું કે, માર્ગ અકસ્માતો ઘટાડવા કોઇ એક જ વિભાગનું કામ નથી. તે સૌની જવાબદારી છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસના ડાયરેક્શન પ્રમાણે જો રોડની ડિઝાઇન બનાવવામાં આવે તો અકસ્માતો ટાળી શકાય છે. એટલે પહેલું ફેક્ટર રોડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. બીજું ફેક્ટર એન્ફોર્સમેન્ટ છે. વાહનો યોગ્ય રીતે ન ચલાવાય અને બેદરકારીના કારણે જે અકસ્માતો થાય છે તેને ટાળવા માટે પોલીસ અને આરટીઓનો ભય હોવો જોઇએ. આ ડરથી એન્ફોર્સમેન્ટ લાવી શકાય. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટનું એટલું જ અગત્યનું કામ બની રહે છે. 'અકસ્માત થાય પણ અકસ્માત થયા પછી જે ખૂબ અગત્યનું કાર્ય છે તે ટ્રીટમેન્ટનું છે. તેમાં જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી જાય,સારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને લઇ જાય, તરત જ તેની ટ્રીટમેન્ટ શરૂ થઇ જાય તે ખૂબ અગત્યનું છે. એવા ઘણાં બધાં કિસ્સાં છે કે જો તાત્કાલીક ટ્રીટમેન્ટ મળી જાય તો આપણે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. અત્યારે આ એક મેજર પ્રોબ્લેમ છે. એક્સિડન્ટ થયા પછી, હોસ્પિટલાઇઝેશન થયા પછી ઇજાગ્રસ્તની ટ્રીટમેન્ટનો પાર્ટ ખૂબ ઝડપથી શરૂ થઇ શકે તો આપણે મૃત્યુ ઘટાડી શકીએ તો તેના પર સવિશેષ ધ્યાન આપવાની પણ જરૂર છે.આમ ઇમરજન્સી કેર પણ એક અગત્યની બાબત છે. એ ઉપરાંત જે અગત્યનો ભાગ છે એન્ફોર્સમેન્ટ સાથે ઇમરજન્સી કેર, એજ્યુકેશન અને અવેરનેસ પણ એક અગત્યનો ભાગ છે.' તેમણે કહ્યું કે, રોડ ઓથોરિટી, મેડિકલ ટીમ, એન્ફોર્સમેન્ટ, અવેરનેસ રિલેટેડ જે કંઇ કામગીરી છે આ બધાંનું સંકલન કરવાનું કામ અમારું છે. એ બધાંને અમે વખતોવખત, રેગ્યુલર રીતે જુદા જુદા ડાયરેક્શનો આપતાં હોઇએ છીએ. અમારા નોડલ અધિકારીઓની મિટિંગ દર મહિને થતી હોય છે. સેક્રેટરી કક્ષાએ એક્ઝિક્યૂટિવ કમિટિની મિટિંગ પણ હોય છે. મંત્રી કક્ષાએ પણ આના માટે રિવ્યૂ કરવા માટેની કમિટિ છે અને તેમાં દરેક વિભાગના સિનિયર અધિકારીઓ તેના સ્ટેક હોલ્ડર છે. તે બાબતે સમીક્ષા કરતાં હોઇએ છીએ અને ડાયરેક્શન આપતાં હોઇએ છીએ.' NCRBનો ડેટા કહે છે કે કુદરતી આફતો અને આતંકવાદી હુમલામાં જેટલા માનવ મોત નથી થતાં તેનાથી વધારે માનવ મોત અકસ્માતોના કારણે થાય છે, થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માત નોતરી શકે છે. અકસ્માત ટાળવા લોકોએ સાવધ રહેવું અને ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:00 am

બ્લાસ્ટનો અવાજ 20 કિલોમીટર દૂર સંભળાયો:સાયખા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ વખતે આસપાસની ફેક્ટરીના પાયા હલી ગયા, મજૂરો ફેક્ટરીમાં જ સૂતા'તા

ભરુચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં 12 નવેમ્બર 2025ની રાત્રે 2:17 મિનિટે એક પ્રચંડ વિસ્ફોટ થતાં 3 લોકોનાં મોત થયાં જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 હજી પણ વડોદરાની હોસ્પિટલમાં દાખલ છે અને જ્યારે બાકીના લોકોને પ્રાથમિક સારવાર આપીને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. વી.કે.ફાર્માકેમ કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના ધડાકાનો અવાજ 20 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટથી આખો GIDC વિસ્તાર ધ્રુજી ગયો હતો, જાણે ભયંકર ધરતીકંપ આવ્યો હોય તેવો લોકોને અહેસાસ થયો હતો. ભાસ્કરની ટીમ આ વિસ્ફોટની હકીકત અને વિસ્ફોટ બાદની સ્થિતિ જાણવા ભાસ્કરની ટીમ ભરુચની સાયખા GIDCમાં ગ્રાઉન્ડ પર પહોંચી હતી. આ પ્રચંડ વિસ્ફોટ કેવી રીતે થયો? આ વિસ્ફોટથી GIDCમાં કેવો માહૌલ સર્જાયો? આસપાસની કંપનીઓને કેટલું નુકસાન થયું? GIDCમાં કેમ વિસ્ફોટ થાય છે? અને સૌથી અગત્યનો સવાલ, આ વિસ્ફોટ પાછળ જવાબદાર કોણ? આ તમામ સવાલના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં... ભરુચના અંકલેશ્વરમાં ભારતની જ નહીં, એશિયાની સૌથી મોટી GIDC આવેલી છે.સાયખા GIDCમાં આવેલી વિશાલ્યાકરણી ફાર્મા (વી.કે.ફાર્મા) કંપનીમાં ફાર્માકેમ કંપનીના માલિક રાજ મહાત્મા, અશોક મહાત્મા અને ભગવાન ભાવા છે. બ્લાસ્ટ થયો ત્યારે કંપનીના માલિકો અહીં જોવા પણ નહોતા આવ્યા.ભાસ્કરની ટીમ અહીં પહોંચી અને જોયું તો ચારેબાજુ કાટમાળ વિખરાયેલો હતો. કંપનીની હાલત જાણે ઉપરથી કોઈ મિસાઈલ પડી હોય તેવી થઈ ગઈ હતી. અમે સૌથી પહેલાં એ કંપનીની અંદર ગયા જ્યાં બ્લાસ્ટ થયો હતો. અહીં હજી પણ ધુમાડા નીકળતા દેખાતા હતા. ચારેયબાજુ કેમિકલ ફેલાયેલું હતું દુર્ગંધ એટલી તીવ્ર હતી કે શ્વાસ પણ ન લઈ શકાય. કંપનીની બહાર પડેલો આખો ટ્રક સળગી ગયો હતો. સામેના રોડ પર પડેલું ભારેભરખમ 10-15 ટનનું વેસલ ખસકીને અન્ય કંપનીમાં જતું રહ્યું હતું. આસપાસની બધી કંપનીઓના કાચ તૂટી ગયા હતા. બાજુની કંપનીઓની તો દીવાલ તૂટી ગઈ, પતરાંના શેડ પડી ગયા, ગાડીઓ સળગી ગઈ, મોટા જનરેટર સળગી ગયા, સ્થાનિક કામદારો અને આસપાસના અન્ય કંપનીના માલિકો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અવાજ એવો ભંયકર હતો કે જમીનમાં ધ્રુજારી આવી ગઈ હતી. આ વિસ્ફોટથી આસપાસની કોઈ કંપનીને 6-7 કરોડનું નુકસાન થયું તો કોઈ કંપનીને 2 કરોડનું... કંપનીના માલિકે મૃતકોને 20-20 લાખનું વળતર આપવાની વાત કરી છે. બ્લાસ્ટવાળી કંપનીથી 2 કિલોમીટર દૂર સાયખા ગામમાં રહેતા હેમરાજસિંહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે રાત્રે 2 વાગ્યાની આસપાસ અસાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતાં અમે બધા જાગી ગયા અને ઘરની બહાર આવી ગયા. આસપાસ પણ દોડાદોડ ચાલું થઈ ગઈ હતી. આ બાજુ આવીને જોયું તો અહીં તો બૂમો પડતી હતી. વિકરાળ આગ લાગી હતી અમે સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એમ્બુલન્સ બોલાવી બાદમાં પોલીસ પણ આવી ગઈ. ઈજાગ્રસ્ત લોકોને અમે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, મારા એક મિત્ર અહીંથી 20 (જી હા, વીસ કિલોમીટર) કિલોમીટર દૂર રહે છે તેમને પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ બ્લાસ્ટના કારણે આસપાસની 6 થી 7 કંપનીમાં ભારે નુકસાન થયું છે. હવે આ બે તસવીરો ધ્યાનથી જુઓ... ભાસ્કરે તપાસ કરતાં જાણવા મળ્યું કે,જ્યાં વિસ્ફોટ થયો ત્યાં પહેલા અન્ય કંપની ચાલતી હતી. નવી કંપનીએ હજી માંડ પાંચ-છ મહિના પહેલાં જ અહીં કામ શરુ કર્યું હતું. આ કંપનીમાં દવા નહોતી બનતી પરંતુ દવા બનાવવા માટેનો રો-મટીરિયલનો જથ્થો અહીં બનતો હતો. રાત્રે 2 વાગ્યાની આસપાસ રીએક્ટરમાં ટોલ્વીનનો ઉપયોગ કરતા હતા. એટલે કે, સોલવન્ટ ડીસ્ટીલેશનની પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસ્ટીલેશન એટલે રિએક્ટરમાં અલગ અલગ પ્રોડ્ક્ટનું મિક્સિંગ કરવું. બ્લાસ્ટની જગ્યાએ બોઈલર પડ્યું હતું તેને કંઈ વધારે નુકસાન નહોતું થયું પરંતુ રીએક્ટર આખું ફાટી ગયું હતું.જ્યારે બનાવ બન્યો ત્યારે નાઈટ શિફ્ટમાં પાંચેક લોકો અહીં કામ કરતા હતા. અન્ય પાંચ લોકો ઉપરના ભાગે સુતા હતા. જેમાંથી 3 લોકોનાં મોત થયા છે અને અન્ય 2 લોકો વડોદરાની હોસ્પિટલમાં દાખલ છે. નિયમ મુજબ સાવચેતીના ભાગરુપે કામદારોને કંપનીમાં રેસિડેન્ટ તરીકે રાખી ન શકાય. તેમને રહેવા માટેની અલગ જગ્યાએ વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ ઘણા નિયમો પાળવામાં નહોતા આવ્યા. જે તમને આગળ જણાવીશું... અમે આ કંપનીની બાજુમાં આવેલી યોબાઈ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક ભાર્ગવ પટેલ સાથે વાત કરી, તો તેમણે જણાવ્યું કે, હું અમદાવાદ રહું છું. અમારી આ કેમિકલ ડાઈ બનાવવાની કંપની છે. જ્યારે બનાવ બન્યો ત્યારે અમારી કંપનીના કેટલાક માણસો અંદર કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ મને મારી કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું તે રાત્રે જ તાત્કાલિક અમદાવાદથી સાયખા આવી ગયો. અહીં આવીને જોયું તો આગ ચાલુ જ હતી. ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા હતા. કંપનીમાં નજીક જઈ શકાય તેવી સ્થિતિ જ નહોતી અમે બીજા દિવસે બપોર સુધી અમારી કંપનીમાં નહોતા જઈ શક્યા. અંદર આવીને જોયું તો મારી કંપનીમાં એટલું બધું નુકસાન થયું હતું કે જાણે મારી જ કંપનીમાં બ્લાસ્ટ થયો હોય. અમારી કંપનીની તમામ ઈલેક્ટ્રિક સિસ્ટમ ડેમેજ થઈ ગઈ છે. 25 લાખનું 250 KVનું જનરેટર સળગી ગયું છે. 35-40 લાખનું કંપનીનું 1600KVનું ટ્રાન્સફોર્મર ડેમેજ થઈ ગયું છે. કંપનીની 60-65 લાખની તમામ મેઈન PCC પેનલો ખેંચાઈ ગઈ છે. એક એડમિન બિલ્ડીંગ જે અમે દોઢ કરોડમાં બનાવ્યું હતું તેનું આખું સ્ટ્રક્ચર લોસ થઈ ગયું છે, લેબના તમામ ઈક્વિપમેન્ટ લોસ થઈ ગયા છે. આ ઈક્વિપમેન્ટ જ અંદાજે 60 લાખની આસપાસના હશે. એક કાર આખી સળગી ગઈ છે. કંપનીનો બધો જ ફિનિશ ગુડ માલ પડ્યો હતો તે નાશ થઈ ગયો છે. કંપનીનું આખું RCC સ્ટ્રક્ચર હલી ગયું છે. આના માટે અમારે હવે સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવો પડશે. સ્ટ્રક્ચર વાળા મને રિપોર્ટ આપશે કે આ બિલ્ડીંગ ચાલશે કે નહીં? નહીંતર મારે પણ ડીમોલિશન કરીને આખું બિલ્ડીંગ નવું ઊભું કરવું પડશે. કારણ કે ભવિષ્યમાં મારા માણસો પણ અહીં કામ કરશે. આ પડે નહીં એટલે મારે કદાચ નવું સ્ટ્રક્ચર પણ બનાવવું પડે. આ બધુ તો મોટું મોટું નુકસાન દેખાય તે છે. આમ તો હજી અંદાજો નથી લાગતો પરંતુ જો મોટા મોટા નુકસાનનો અંદાજો લગાવું તો પાંચથી સાત કરોડ જેટલું નુકસાન થયું છે. પરંતુ અમારી કંપનીના તમામ કાગળીયાઓ છે જેમાં અમે વીમો પણ લીધેલો છે એટલે અમે ક્લેમ માટે જાણ કરી દીધી છે. જેની ટીમ પણ સર્વે માટે આવી ગઈ છે. આ બ્લાસ્ટના કારણે લગભગ 3 મહિના સુધી તો અમારો પ્લાન્ટ અમે શરુ જ નહીં કરી શકીએ... બાદમાં અમે બ્લાસ્ટ વાળી ફેક્ટરી સામે આવેલી સ્કાય ઈન્ટરમીડિયેટ કંપનીમાં ગયા. અહીં પહોંચતાં જોયું તો કંપનીનો બધો શેડ ઉખડી ગયો હતો. પાંચ માળની આ કંપનીના તમામ બારી કાચ તૂટી ગયા હતા. અમે કંપનીના મેનેજર વિમલેશ પાઠકને મળ્યા. તેમણે અમને જણાવ્યું કે, બ્લાસ્ટની રાત્રે હું અમારા પ્લાન્ટમાં રાઉન્ડ લગાવીને રાત્રે 2 વાગ્યાની આસપાસ ત્રીજા માળે આવેલી અમારી ઓફિસમાં આવીને બેઠો અને 10થી 15 મિનિટની પછી અચાનક જ મોટો ધડાકો થયો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જાણે અમારા પર મોટો હુમલો થયો હોય. કારણ કે જ્યાં સોફા પર બેઠો ત્યાં આસપાસ કાચની બારીઓ હતી જે તમામ તૂટી તેના કાચ તૂટ્યા અને મારા પર પડ્યા. પાંચ મિનિટ સુધી તો હું સન્ન થઈ ગયો હતો. ચારે બાજુ અંધારું થઈ ગયું હતું. કારણ કે, બ્લાસ્ટના કારણે પાવર જતો રહ્યો હતો. પાંચ મિનિટ બાદ થોડું દેખાવા લાગતાં હું દોડીને અમારા પ્લાન્ટની અન્ય જગ્યા પર ગયો અને બધાને બહાર કાઢ્યા. આમાંથી જે લોકો ઈજાગ્રસ્ત હતા તે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા. બ્લાસ્ટ થયો ત્યારે અમારી કંપનીમાં 30 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. અમારી કંપનીમાં અંદાજે દોઢથી બે કરોડ જેટલું નુકસાન થયું છે અને આ તો આંખની સામે દેખાય છે તે આંકડો છે. હજી તો અમે બધો સર્વે પણ નથી કર્યો. અમારી કંપનીની લેબોરેટરીનું HPCL મશીન જે 30 લાખનું આવે છે તે આખું ડેમેજ થઈ ગયું છે. કંપનીનું રીએક્ટર, પેનલ વગેરે બધું ચાલુ થશે પછી અમે પરફેક્ટ અંદાજો લગાવી શકીશું ખરેખર કેટલું નુકસાન થયું છે. આ બ્લાસ્ટના કારણે અમારા બિઝનેસ પર મોટી અસર થવાની છે કારણ કે, 15 દિવસ સુધી તો અમે કંપનીમાં કામ જ શરુ નહીં કરી શકીએ. જ્યાં બ્લાસ્ટ થયો તેની બાજુમાં જ આવેલી સેજલ કેમટેક કંપનીના પાર્ટનર હિતેષભાઈ દીયોરાએ કહ્યું કે, જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં બોઈલર તો સહી સલામત લાગે છે. બાઈલરમાં કાંઈ ડેમેજ હોય અને તેના કારણે બ્લાસ્ટ થયો હોય તેવું લાગતું નથી. રીએક્ટરના વેસલ્સમાં કોઈ રીએક્શન થયું હોય અને તેમાં સેફ્ટીના નોર્મ્સ નહિ પાળ્યા હોય ને તેના કારણે પ્રચંડ ધડાકો થયો હોય તેવું લાગે છે. રીએક્ટરમાં કેમિકલ મિક્સ થાય છે. ક્યું રો-મટીરિયલ છે તેના પર આધાર છે. રીએક્ટર અને બોઈલર એટલે શું? રીએક્ટરમાં બ્લાસ્ટ ન થાય તેના માટે પ્રેશર, ટેમ્પરેચર, ઓટોમેટિક કંટ્રોલ વાલ્વ, સેફ્ટી વાલ્વ, આ બધાનું સમયસર ટેસ્ટીંગ થવું જોઈએ. જેથી ખબર પડે કે આમાંથી કંઈ ખરાબી હોય તો તેને રીપેર કરાવી શકાય કે રીપ્લેસ કરાવી શકાય. રીએક્ટર મટીરિયલને મિક્સ કરવાનું કામ કરે છે. કંપનીની જે પણ પ્રોડક્ટ હોય તેને રીએક્ટર દ્વારા રીએક્શન કરાવાય છે. એટલે કે જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે તે તેજ છે કે પછી કંઈક અલગ? બોઈલર પાણીને સ્ટીમ કરવાનું કામ કરે છે. બોઈલરમાં ફક્ત પાણી ગરમ થાય છે. જેમાં બ્લાસ્ટ થવાના ચાન્સ ઓછા હોય છે. જ્યારે રીએક્ટરમાં કેમિકલ આવે છે એટલે તેમાં બ્લાસ્ટ થવાના ચાન્સ હોય છે પરંતુ તે પણ કોઈ બેદરકારી હોય તો જ થાય છે. બાકી 99 ટકા રીએક્ટરમાં પણ બ્લાસ્ટ નથી થતો. રીએક્ટરમાં સેફ્ટી માટે સેફ્ટી વાલ્વ લગાવવામાં આવે છે. ટેમ્પરેચર મેઈન્ટેન રાખવા માટે ઓટો કટઓફ વાલ્વ લગાવાય છે. પ્રેશર માટે રાફ્ટર ડીશ લગાવાય છે. આમાંથી કોઈ વસ્તુ બરાબર કામ ન કરે અને મિસ ઓપરેશનલ થાય તો જ રીએક્ટર બ્લાસ્ટ થાય છે. આ બધું જોવાનું કામ જે તે ઓપરેટરનું હોય છે. કારણ કે, કામદારોને ટેક્નિકલી એટલો બધો આઈડીયા નથી રહેતો. ઓપરેટરની ઉપર શિફ્ટ ઈન્ચાર્જ હોય છે ઓપરેટરથી મેનેજ ન થાય તો તે શિફ્ટ ઈન્ચાર્જને જાણ કરે છે અને શિફ્ટ ઈન્ચાર્જની ઉપર મેનેજર આવે છે. (કોઈ મિસ ઓપરેશનના કારણે કોઈના દ્વારા બરાબર ધ્યાન ન આપવાના કારણે જ આવા બ્લાસ્ટ થતા હોય છે. નહીંતર બધું બરાબર ચાલતું હોય તો બ્લાસ્ટ નથી થતો) બ્લાસ્ટમાં જવાબદાર કોણ?આ ઘટનામાં કંપનીની અને કેટલીક એજન્સીઓની બેદરકારી પણ સામે આવી છે. જ્યારે કોઈ કંપની GIDCમાં મેન્યુફેક્ચરીંગ કરવાની હોય ત્યારે સૌથી પહેલા GIDCમાંથી પરમિશન લેવાની હોય છે. જેમ કે, ડ્રોઈંગ, ફાયર સેફ્ટી, વર્કર સેફ્ટી પછી સ્ટ્રક્ચર ઊભું થઈ જાય ત્યારે ફેક્ટરી ઈન્સ્પેક્ટર આવે અને બધું તપાસ કરીને જુએ કે અહીં કોઈ રેસિડેન્સીયલ તો નથી, બધા કાગળીયા છે કે નહીં. આ તમામ બાબતો જોઈને ખાતરી કરાય છે. તે બાદ તે કંપનીનું લાયસન્સ ઈશ્યુ થાય પછી GPCB એન્વાયરમેન્ટ કન્સર્ન આપે પછી કંપનીને પ્રોડક્ટ બનાવવાની પરમિશન મળે અને પછી બધું કામ શરું થાય. આ સિવાય કંપની જે ગામમાં પડતી હોય તે ગામની ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. કંપનીમાં જેટલા માણસ કામ કરતા હોય તેનો પ્રોફેશનલ ટેક્સ ભરવો પડે. પરંતુ સાયખા GIDCમાં આવેલી વી.કે. ફાર્માકેમ કંપનીએ આમાંથી કોઈ નિયમોનું પાલન નહોતું કર્યું અને કંપનીમાં કામ ચાલુ કરાવી દીધું હતું એટલે આમાં સાયખા GIDC, ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને GPCB સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. GPCBએ કહ્યું- કંપની સામે કાર્યવાહી થશેઆ મામલે અમે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના નિયામક કે.એમ.વાઘમસ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કંપનીની કેટલીક પરમિશન લેવાની પ્રોસેસ ચાલુ હતી. અમે આ કંપનીનો રિપોર્ટ અમારી હેડ ઓફિસ મોકલી આપ્યો છે. 1-2 દિવસમાં કંપની પર એક્શન પણ લેવાશે. જરુર પડશે તો પોલીસમાં પણ રિપોર્ટ કરીશું. ભાસ્કરે ફેક્ટરી ઈન્સપેક્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, કંપનીએ અમારી પાસે મંજૂરી માટેની પ્રોસેસ કરી હતી, જે કામ પ્રોસેસમાં હતું. આ કંપની શરુ કરે 6 મહિના થયા હતા. પહેલા અહીં બીજી કોઈ કંપની હતી તે કંપનીની કોઈ પ્રોડેક્ટ સફળ ન થતાં તેણે કંપની વેચી દીધી હતી. કંપનીમાં સોલવન્ટ ડીસ્ટીલેશનની પ્રોસેસ કરનાર ઓપરેટરનું મૃત્યુ થઈ ગયું છે. આ સમગ્ર ઘટના મામલે અમે ઈન્કવાયરી કરી રહ્યા છીએ. તેનો રીપોર્ટ બન્યા બાદ તેને અમે આગળ મોકલીશું અને પોલીસમાં આપીશું. સ્થાનિક પોલીસ સાથે કરતાં તેમણે પણ જણાવ્યું કે, GPCB, ફેક્ટરી ઈન્સપેક્ટર અને FLSની ટીમ અમને રિપોર્ટ કરશે પછી અમે તેની પર કાર્યવાહી કરીશું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 6:00 am

બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લા સંકલન સમિતિની બેઠક:વિકાસ કાર્યોને વેગ આપવા, રજૂઆતોના ઝડપી નિરાકરણ પર ભાર મુકાયો

બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લાઓમાં શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જ્યારે થરાદ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બંને બેઠકોમાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓ જોડાયા હતા. સભાસદોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો અને રજૂ કરાયેલા મુદ્દાઓના જવાબોનું રિવ્યૂ કરવામાં આવ્યો હતો. પાલનપુરની બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જિલ્લામાં મળેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધીત અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિનો અહેવાલ મેળવી તાત્કાલિક નિરાકરણ માટે સુચના આપી હતી. તેમણે જણાવ્યું કે નાગરિકોને સરકારની યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ ઘનિષ્ઠ સંકલન જરૂરી છે. અમલીકરણ અધિકારીઓને વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. વાવ–થરાદ જિલ્લા કલેક્ટરે નવીન જિલ્લા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાથમિકતા આપીને કામગીરીમાં ઝડપ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા બનાવવા પછી વિકાસ કાર્યોને વેગવાન બનાવવાની દિશામાં જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વાવ–થરાદ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા હાજર રહ્યા હતા. જ્યારે બનાસકાંઠાની બેઠકમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીડીઓ એમ.જે. દવે અને અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:58 am

નવી ડિઝાઇન જાહેર‎:પાલનપુરમાં 63 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત‎ભવન નવું બનશે

પાલનપુર સ્થિત હાલનું જિલ્લા પંચાયત ભવન લગભગ 45 વર્ષ જૂનું બનેલું છે. ચાર વખત પોપડા ખરવા જેવી ગંભીર ઘટનાઓ બનતા નોકરી કરતા સ્ટાફ કર્મીઓમાં ભયનો માહોલ છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા ડીડીઓ એ રાતોરાત ત્રીજા તથા ચોથા માળની કચેરીઓને અન્ય સ્થળે ખસેડવા સૂચના આપી અને 2 જ દિવસમાં કચેરીઓ ખસેડી દેવાઈ જેમાં ચોથા માળની ખેતીવાડી અને પશુપાલન શાખાને ગ્રામ વિકાસ એજન્સી સંકુલના હોલમાં શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે આંકડા શાખા ને જિલ્લા પંચાયતના સભાગૃહમાં શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ સ્ટાફ જે કચેરીમાં બેસતો હતો તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીને નવાલક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હવે આ જર્જરિત ભવનને તોડી તેની જ જગ્યાએ નવી ઈમારત ઉભી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવી જિલ્લા પંચાયત ભવન માટે કુલ અંદાજિત ખર્ચ આશરે 63 કરોડ છે. જેમાંથી 52 કરોડની વહીવટી મંજુરી મળી ચૂકી છે 6 માળની ઈમારત બનશે, 300 વાહનો પાર્ક થશે‎જિલ્લા પંચાયત ભવન ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 6 માળનું નવું જિલ્લા પંચાયત ભવન બનાવાશે. સમગ્ર બિલ્ડિંગમાં તમામ કચેરીઓ પૂર્ણ ફર્નિશ્ડ રૂપે કાર્યરત થશે. કેમ્પસમાં જનહિત માટે વિશાળ ઓડિટોરિયમ હોલ અને સ્ટાફ–મહેમાનો માટે કેન્ટીનની સુવિધા પણ રહેશે. વાહનવ્યવહારને સુગમ બનાવવા આશરે 150 કાર અને 150 ટુ-વ્હીલર માટે કુલ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. નવી ઇમારત આધુનિક સુવિધાઓ સાથે જિલ્લા પંચાયત માટે વધુ સુવ્યવસ્થિત કાર્યસ્થળ પૂરું પાડશે.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:55 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મતદારયાદી સુધારણા કેમ્પમાં જાગૃતિના અભાવને લોકોને ક્યાં જવું અને શું કાર્યવાહી કરવી તેની જાણકારી નહોતી

SIR અંતર્ગત પાલનપુર શહેરના તમામ મતદાન મથકોમાં મતદારયાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.15 16 અને 22 23 નવેમ્બર નિર્ધારિત દિવસો પૈકી પહેલા દિવસે જાણકારીના અભાવે ગણ્યા ગાંઠ્યા લોકોજ પાલનપુરના મતદાન મથકો પર આયોજિત કેમ્પમાં જોવા મળ્યા. ભાસ્કર ટીમે શહેરના જુદા જુદા મતદાન મથકો પર ચાલતી કાર્યવાહી નિહાળી હતી. ઘણા લોકો ઘરના સરનામા બદલીને અન્યત્ર રહેવા ગયા હોવાથી દસ્તાવેજ એકત્ર કરવું મુશ્કેલ બન્યું. કેટલાક મતદારોને ફોર્મ મળ્યા જ નહોતા, જેના કારણે તેઓ ચૂંટણી કાર્ડ લઈને જ બુથ પર પહોંચ્યા હતા. કેટલાક BLO મોબાઇલ પરથી જ ઑનલાઇન ફોર્મ સબમિટ કરતા જોવા મળ્યા હતા. એરોમા સર્કલ પાસે નૂતન હાઈસ્કૂલ ખાતે BLOના ટેબલો ખાલી જોવા મળ્યા. લોકજાગૃતિના અભાવને કારણે લોકોને ક્યાં જવું અને શું કાર્યવાહી કરવી તેની સાર્વજનિક જાણકારી નહોતી. એક જ ટેબલ પર 20–25 ફોર્મ આવવાથી કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. એક BLOને 15–16 સોસાયટી અને અંદાજે 1378 ફોર્મની જવાબદારી મળતા કામ ભારમય હોવાનું જણાવ્યું હતું. કેટલાક સ્થળે સસ્તા અનાજના દુકાનદારોને BLO સહાયક તરીકે મુકાતા તેઓ અવઢવમાં મૂકાયા હતા. શિક્ષક વર્ગે પણ ચિંતા વ્યક્ત કરી કે અવિરત કામગીરીને કારણે શિક્ષણ ઉપર અસર પડે છે. ભાસ્કર ટીમે આદર્શ હાઈસ્કૂલની મુલાકાત લીધી ત્યારે 14માંથી 6 શિક્ષકો BLO તરીકે ફરજ બજાવતા જોવા મળ્યા જેના કારણે શાળાનો શિક્ષણક્રમ અસરગ્રસ્ત હતો. યાદીમાં 50 હજારથી વધુ નામ હોવા છતાં સર્ચ ઑપ્શન ન હોવાને કારણે નામ શોધવામાં સમય વેડફાઈ રહ્યો હતો. વિદ્યા મંદિર સ્કૂલમાં શિક્ષકો મતદારોને જાતે યાદીમાંથી નામ શોધી આપી રહ્યા હતા. મીરાગઢ પ્રાથમિક શાળામાં BLOઓએ 2002ની જૂની યાદીમાંથી નામ શોધવો સૌથી મોટો પડકાર હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:52 am

ભાસ્કર ફોટો ઇન્વેસ્ટિગેશન:દિલ્હી દરવાજા- અહીં 2થી 3 વાર ગ્રીન સિગ્નલની રાહ જોવી જ પડે

શાહપુરથી દિલ્હી દરવાજા તરફ રોજ 70 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે અને સૌથી વ્યસ્ત હોવા છતાં દૂધેશ્વરથી આવતાં વાહનોને જવા દેવા તેને સાંકડો બનાવી 21 ફૂટ કરી દેવાયો છે, જ્યારે તેની તુલનાએ દૂધેશ્વરથી ઓછાં વાહનો આવતા હોવા છતાં આ રસ્તો 43 ફૂટ પહોળો રખાયો છે, જેથી આખો દિવસ ટ્રાફિક રહે છે. સ્થિતિ એવી છે કે,આ જંક્શન પર બે ગ્રીન સિગ્નલ પછી નંબર આવે છે. ભાસ્કર એક્સપર્ટસર્કલને રિડિઝાઇન કરવાની જરૂરઅહીં દુકાનોનો સરવેની જરૂર છે. આ કામગીરી કર્યા પછી દબાણ દૂર કરવાં જોઈએ, જેથી રસ્તો થોડો પહોળા થઈ શકે. વાહનોની મૂવમેન્ટ તથા તેના વિશ્લેષણના આધારે સર્કલને સંપૂર્ણપણે રિડિઝાઇન કરવાની જરૂર છે. આમ થાય તો ચારે બાજુના ટ્રાફિકને મેનેજ કરી શકાશે. > પ્રિયંક ત્રિવેદી, રોડ સેફ્ટી એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 16 Nov 2025 5:50 am