SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી:પાલડીમાં પિતા-પુત્રને વધુ નફો આપવાની લાલચ આપીને 15.65 લાખ પડાવ્યા

અમદાવાદના આધેડને સોશિયલ મીડિયા દ્વારા સાયબર ગઠિયાઓએ સંપર્ક કરીને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને 15.65 લાખ પડાવ્યા છે. શરૂઆતમાં રોકાણ પર નફો આપ્યો હતો જેથી વિશ્વાસ આવતા આધેડ અને તેમના દીકરાએ મળીને 15 લાખથી વધુનું રોકાણ કર્યું હતું જેની સામે 45 લાખ નફો બતાવ્યો પરંતુ પૈસા ઉપાડવા જતા 7 લાખની કમિશન માગ્યું હતું જેથી આધેડે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગ્રુપ એડમીને લિંક મોકલીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતીપાલડીમાં રહેતા હસીબ એકીસવાલા નિવૃત જીવન ગુજારે છે. હસીબભાઉ ફેસબુક સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે શેર માર્કેટની ટ્રેનિંગ આપતી રીલ જોઈ હતી. જેથી તેમણે લિંક પર ક્લિક કરતા તેઓ વોટ્સએપ ગ્રુપમાં એડ થયા હતા.જે બાદ ગ્રુપમાં પ્રોફેસર વિનય ગુપ્તા અને લક્ષ્મી પ્રિયા પાંડે નામના વ્યક્તિ એડમીન હતા.તેમને ગ્રુપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ આપતા હતા અને રોજ રોજ મેસેજ મોકલતા હતા.આ ગ્રુપમાં અન્ય લોકો પણ હતા જેમને શેર બજારમાં નફો થયો હોવાના મેસેજ કરતા હતા. હસીબભાઈને વિશ્વાસ આવતા તેમણે ગ્રુપ એડમીનને સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ ગ્રુપ એડમીને તેમને લિંક મોકલીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. નફો ઉપાડવા જતા કમિશનના 7 લાખ ભરવા કહ્યુંહસીબભાઈએ એપ્લિકેશનમાં બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો ભરી હતી. જે બાદ તેમને રોજ ટીપ્સ આપવામાં આવતા તેમણે શરૂઆતમાં 50,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જેની સામે તેમને 300 ટકા નફાનો મેસેજ આવ્યો હતો. તેમણે 2500 રૂપિયા ઉપાડ્યા હતા જે તેમના બેંક ખાતામાં જમા થતા તેમને વધુ વિશ્વાસ આવતા તેમને ટુકડે ટુકડે 14 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હસીબભાઈએ તેમના દીકરાને પણ જાણ કરતા તેમના દીકરાએ પણ એપ ડાઉનલોડ કરીને તેમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે 34,000 રૂપિયા ઉપાડ્યા હતા. પિતા-પુત્રએ કુલ 15.65 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને 45.52 લાખ રૂપિયા નફો બતાવતા હતા. હસીબભાઈએ જ્યારે રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને કમિશનના 7 લાખ ભરવાનું કહ્યું હતું જેથી હસીબભાઇને શંકા જતા સાયબર ક્રાઇમમાં આ અંગે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:50 am

મંત્રીએ હસતા હસતા જવાબ ટાળી દીધો!:મંડળના વિસ્તરણ અંગે કનુ દેસાઇને મીડિયાએ સવાલ કર્યો કે કયા મંત્રીઓ રહેશે? તો કહ્યું- 'એવું બધું થોડી કહેવાય'

ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે મંત્રીમંડળનું વિસ્તરણ શીર્ષ નેતૃત્વ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. જ્યારે તેમને મીડિયાએ સવાલ કર્યો કે કયા મંત્રીઓ રહેશે? ત્યારે તેમણે હસતા હસતા જવાબ ટાળી દીધો અને કહ્યું કે, 'એવું બધું થોડું કહેવાય.' કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતમાં મોટું કદ ધરાવે છે દિવાળી પહેલા રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કનુ દેસાઈ રાજ્યના નાણામંત્રી છે અને દક્ષિણ ગુજરાતમાં મોટું કદ ધરાવે છે. જો તેમને હાલની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તો અન્ય કયા બે અનાવિલ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી ચર્ચા દક્ષિણ ગુજરાતમાં ચાલી રહી છે. આ વચ્ચે નવસારી આવેલા નાણામંત્રી કનુ દેસાઇને મીડિયાને સવાલ કર્યો તો કનુ દેસાઇએ જણાવ્યું કે, મંત્રીમંડળનું વિસ્તરણ શીર્ષ નેતૃત્વ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. નવસારી શહેરના અનેક પ્રકલ્પોનું લોકાર્પણવિકાસ સપ્તાહના સમાપન પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે નવસારી શહેરના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના 20 વર્ષ પૂર્ણ થતા રાજ્ય શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે. દેસાઈએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ 40 ટકાના વધારા સાથે 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:45 am

જામનગરમાં ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળી:ભૂજીયો કોઠો, રણમલ તળાવ અને સરકારી કચેરીઓ શણગારાઈ

જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતો અને સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં દિવાળીનો માહોલ જામ્યો છે.શહેરની ઓળખ સમાન રણમલ તળાવ (લાખોટા કોઠો) અને તાજેતરમાં જ રેસ્ટોરેશન પામેલા ભૂજીયા કોઠા પર વિશેષ લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ મનમોહક દ્રશ્યો તળાવની પાળે એક આકર્ષક વાતાવરણ ઊભું કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન ગોઠવવામાં આવેલી આ રોશની નગરજનો માટે એક અનોખું આકર્ષણ બની છે. રંગબેરંગી લાઇટોના ઝળહળાટને જોઈને નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાની કચેરી અને સેવા સદન સહિતની સરકારી ઇમારતોને પણ રોશનીથી શણગારવામાં આવી છે. આ શણગારથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:35 am

પારપડામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિન ઉજવાયો:ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં ખેડૂતોને વિવિધ યોજનાના લાભ અપાયા

બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોની સુખાકારી માટે અનેક યોજનાઓ અને અભિયાનો અમલી બનાવ્યા છે. સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે, જેના પરિણામે લાખો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યના કુલ 69.25 લાખ ખેડૂત પરિવારોને રૂ. 21086 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઠાકરે વધુમાં જણાવ્યું કે, સરકારે કૃષિ ક્ષેત્રને ડિજિટલ માધ્યમથી સશક્ત બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી યોજના અમલી બનાવી છે. આનાથી ખેડૂતો યુનિક ફાર્મર આઇડીનો ઉપયોગ કરીને ખાતર ખરીદી, ટેકાના ભાવે પાક વેચાણ અને યોજનાકીય સહાય મેળવી શકશે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે અગાઉ 60 હજાર રૂપિયા સહાય મળતી હતી, જે સરકારે વર્ષ 2025-26થી વધારીને 1 લાખ સુધી કરી છે. સરકારે અત્યાર સુધી 21 જેટલા કૃષિ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. તેમણે ઉપસ્થિત ખેડૂતોને વધુમાં વધુ મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું. આ દરમિયાન સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તથા કૃષિ વિભાગના નિષ્ણાતોએ રવિ પાકોની નવીન ટેક્નોલોજી, સુધારેલી જાતો, પ્રાકૃતિક ખેતી, માઇક્રો સિંચાઈ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યો હતો. ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તથા સ્થળ પર કૃષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી 18 જેટલા ખેડૂત લાભાર્થીઓને સરકારની બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. જેમાં કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા AGR 50 ટ્રેક્ટર, રોટાવેટર, પોટેટો ડીગર, વાવણીયા, પ્લાઉ, કલ્ટિવેટર, કેટલ શેડ, પશુપાલન અને ફળફળાદી પાક અંતર્ગત સહાય આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:32 am

દિવાળીના તહેવારો પૂર્વે આગની વધુ એક ઘટના:સાધુવાસવાણી રોડ પર ધારેશ્વર ડેરીમાં વહેલી સવારે ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજકોટમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. હજુ બે દિવસ અગાઉ જ શહેરના દિવાનપરા વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું, ત્યાં આજે વહેલી સવારે શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી ધારેશ્વર ડેરીમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. સદનસીબે, સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી જતાં અને યોગ્ય કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારે ડેરીમાં આગ લાગીપ્રાપ્ત વિગત મુજબ, આજે બુધવારે સવારના 6:40 કલાકના અરસામાં સાધુવાસવાણી રોડ પર આવેલી ધારેશ્વર ડેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે શરૂઆતમાં કોઈને ઘટનાની જાણ થઈ નહોતી, પરંતુ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને સ્થાનિકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસર કામગીરીને લીધે આગને અટકાવી શકાઈઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની 2 ટીમો તુરંત જ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી. ડેરીની અંદર રહેલા દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સને કારણે આગ વધુ પ્રસરવાની શક્યતા હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોની સતર્કતા અને સમયસર કામગીરીને લીધે આગને આગળ વધતી અટકાવી શકાઈ હતી. જેને લઈ અંદાજે 8 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશનમાં દોઢ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ પણ અકબંધઆ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગને કારણે ડેરીમાં રહેલા સામાન અને અન્ય મશીનરીને મોટું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દિવાળી પૂર્વે આગની ઘટનાઓ શહેરીજનોમાં ચિંતા જગાવી રહી છે. બે દિવસ પહેલા દિવાનપરામાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારબાદ આ વધુ એક ઘટના બની છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, ધારેશ્વર ડેરીમાં આગ કયા કારણોસર લાગી તે હજુપણ અકબંધ છે. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસઉલ્લેખનીય છે કે, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગતી હોય છે, પરંતુ ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. તહેવારોના સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે વેપારીઓ અને નાગરિકોને વધુ સતર્ક રહેવાની અપીલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:28 am

ભરૂચમાં ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી:બામસેફ-ઇન્સાફ દ્વારા ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ

14 ઓક્ટોબર,1956ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરે નાગપુરની દિક્ષાભૂમિ ખાતે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો અને 22 પ્રતીજ્ઞાઓ લઈને સામાજિક સમાનતા અને માનવતાના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે દર વર્ષે 14 ઓક્ટોબરનો દિવસ ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. તે અનુસંધાને ભરૂચ શહેરમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના સંયુક્ત ઉપક્રમે રવિવારે સાંજે રેલવે સ્ટેશન નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મીણબત્તી પ્રજ્વલિત કરીને અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારોને વંદન કરતાં તેમના દિશાનિર્દેશ મુજબ સામાજિક ન્યાય,ભાઈચારો અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દરમિયાન બૌદ્ધ ધર્મના ઉપદેશો, ડૉ.આંબેડકરના જીવન સંઘર્ષ અને તેમના દ્વારા સ્થાપિત મૂલ્યો અંગે પણ વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. બામસેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તથા હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા શરૂ કરાયેલા સામાજિક ક્રાંતિનો માર્ગ આજે પણ સમાન મહત્વ ધરાવે છે અને યુવા પેઢીએ તેને જીવનમાં ઉતારવો જરૂરી છે. કાર્યક્રમમાં બામસેફના અધ્યક્ષ બેચર રાઠોડ, ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર સહિતના શહેર અને તાલુકાના અનેક આગેવાનો,સભ્યો તથા નાગરિકો ઉપસ્થિત રહી ડૉ.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:24 am

દિવાળી ટાણે જ 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું:ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું'ને પોલીસે દરોડો પાડ્યો, સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા

દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મે.શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ.96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી પોલીસે પકડેલાં રૂ.95,59,718 નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા. ફૂડ વિભાગને ઉંઘતું રાખી પોલીસનો દરોડોમહેસાણા તાલુકા પોલીસ ની ટિમ નાઈટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગિલોસણ ગામે પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની મે. શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ( યુક્રેન એસ્ટેટ, 50/એ, 50/બી, 51/બી, સર્વે નં.71) નામની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો મારી શંકાસ્પદ ઘીનો રૂ.95,59,718 નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે આ અંગે અને ફેક્ટરીને સીલ મારી હોવાનું પી.આઈ.એ જણાવ્યું હતુ. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયાફૂડ અધિકારીઓએ ગિલોસણ ગામની ઘી બનાવતી ફેક્ટરીમાંથી જુદાજુદા ઘીના 18 સેમ્પલ લીધાં હતા.આ બાબતે ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, ફૂડતંત્રની ટીમે સ્થળ પર જઈ શંકાસ્પદ ઘી ના 18 સેમ્પલ લઈ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે.ફૂડઓફિસર્સની ટીમે શંકાસ્પદ ઘીનો અંદાજે રૂ.95,59,718 નો કુલ16812 લિટર જથ્થો સીઝ કરી ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈગોવિંદભાઈ સામે ધોરણસરનીકાર્યવાહી હાથ ધરી છે. તંત્રએ ફેક્ટરીમાંથી શંકાસ્પદ અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘી ના અંદાજે 75 પતરાના ડબા તથા આશરે 700 જેટલાં જુદી જુદી ધી બ્રાન્ડના કાર્ટૂન સીઝ કર્યાં હતા. ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ રિપોર્ટના આધારે દંડ અને સજાની જોગવાઈમહેસાણા ફૂડ તંત્રના ઈન્ચાર્જ અધિકારી જે.જે.પ્રજાપતિએ કહ્યું કે, શંકાસ્પદ ઘીના સેમ્પલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે તો અધિક નિવાસી કલેક્ટર (આર.એ.સી.) ની કોર્ટમાં કેસની કાર્યવાહી કરી શકાય છે. તેમાં એકમ માલિકને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે અનસેફ રિપોર્ટ આવે તો જ્યુડીશીયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં રૂ.3 લાખ સુધીના દંડની જોગવાઈ અને 3 માસ સુધીની કેદની સજાની જોગવાઈ છે

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 10:06 am

નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી:પાવાગઢથી બાવળા જતી બસમાં અચાનક આગ લાગી, ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દેતાં દુર્ઘટના ટળી

નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુંપ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે બ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. આ પણ વાંચો: રાજસ્થાનમાં AC બસમાં આગ, 20 મુસાફર જીવતા સળગ્યા બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈઆગ કયા કારણોસર લાગી તે બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: સળગતી બસમાંથી કૂદી પડ્યા મુસાફરો, દાઝી ગયેલા બેઠા હતા સાંતેજ GIDCમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ ગઇકાલે મોડી સાંજે કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયરની ચાર ગાડી, ગાંધીનગર ફાયરની બે ગાડી, કલોલ નગરપાલિકાની એક ગાડી, વડસર એરફોર્સની એક ગાડી, અરવિંદ મિલની એક ગાડીએ લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમરેલીમાં ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ બીજી તરફ ગત મોડી રાત્રે અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો...

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:59 am

ઘોઘાના ભીકડામાં માતા-દીકરી પર હુમલો:માતાને માથામાં અને દીકરીને ખભે પાઇપ મારી, આઇસર ટ્રકના બાકી રૂપિયાના વિવાદમાં ચાર સામે ફરિયાદ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં આઇસર ટ્રકના બાકી રૂપિયાની લેતીદેતીના મામલે ઝઘડો થયો હતો. જેમાં સીતાબેન હીમંતભાઈ ગોહેલ અને તેમની દીકરી દક્ષાબેન અજયભાઈ બારૈયા પર પાઇપ વડે હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ટ્રકની બાકી રકમના કારણે ઝઘડો શરૂ થયોઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘાના ભીકડા ગામના 45 વર્ષીય સીતાબેન હીમંતભાઈ ગોહેલના જમાઈ અજય ભુપતભાઇ બારૈયાએ પાંચ મહિના પહેલાં અજય સુરાભાઈ ચૌહાણ પાસેથી એક આઇસર ટ્રક ખરીદ્યો હતો. આ ટ્રકના આશરે એક લાખ રૂપિયા બાકી હતા. આ બાકી રકમના કારણે સીતાબેનના પડોશમાં રહેતા અને તેમના જમાઈના કૌટુંબિક સાળા વિશાલ તથા અન્ય ત્રણ વ્યક્તિઓએ ગતરોજ સાંજે 6 વાગ્યે સીતાબેનના ઘરમાં તેમની અને તેમની દીકરી દક્ષાબેન અજયભાઈ બારૈયા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. સીતાબેનને માથાના ભાગે પાઇપ મારીસીતાબેને ગાળો બોલવાની ના પાડી, ત્યારે વિશાલ, સતીશ દિનેશભાઈ ગોહેલ, હિતેશ દિનેશભાઈ ગોહેલ અને કિરણબેન વિશાલભાઈ ગોહેલ ઉશ્કેરાઈ ગયા હતા. વિશાલે હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે સીતાબેનને માથાના ભાગે માર માર્યો, જેનાથી તેમને લોહી નીકળ્યું. વચ્ચે પડેલી દીકરી દક્ષાબેનને પણ વિશાલે પાઇપનો એક ઘા ખભાના ભાગે માર્યો હતો. સીતાબેને ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઆ દરમિયાન સીતાબેનના દીકરા નીકુજભાઈ ત્યાં આવતા, અન્ય આરોપીઓએ તેમને પણ હાથે-પગે અને મોઢાના ભાગે મૂઢ માર મારી ગાળો આપી હતી. આજુબાજુના લોકો ભેગા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જતા-જતા તેઓએ ‘બાકી પૈસા આપી દેજો નહીં તો બધાને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત સીતાબેનને તાત્કાલિક ખાનગી વાહનમાં વરતેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. ત્યારબાદ સીતાબેન, તેમના દીકરા નીકુજભાઈ અને દીકરી દક્ષાબેન સાથે વરતેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:58 am

વેરાવળ તાલુકાના શિક્ષકોની હરિયાળી પહેલ:બાળકો માટે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર, “તંદુરસ્ત બાળક, નિરોગી ભવિષ્ય”ના સંદેશ સાથે સરકારી શાળાઓમાં ઉમદા અભિયાનની શરૂઆત

શિક્ષક એટલે માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટે સતત વિચારતા સર્જનહાર. વેરાવળ તાલુકાના શિક્ષકો એ ફરી એક વાર તેમની આ અનોખી ઓળખને જીવંત બનાવી છે. શિયાળાની ઋતુએ દસ્તક આપી છે અને આ સાથે શરૂ થઈ છે એક નવી હરિયાળી પહેલ. હાલ કેમિકલયુક્ત અને પેસ્ટિસાઇડ ભરેલી શાકભાજી અને અનાજના કારણે માનવ જીવન પર ગંભીર અસર થઈ રહી છે. ત્યારે બાળકોને તંદુરસ્ત, સ્વસ્થ અને નિરોગી આહાર મળી રહે તે હેતુથી વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દરેક શાળામાં ઓર્ગેનિક(કેમિકલ મુક્ત) બિયારણનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ કેશોદના ભરત પટેલ, જે “બીજ બેંક”દ્વારા દેશી શાકભાજીના દુર્લભ અને લુપ્ત થતી જાતોનું સંવર્ધન કરે છે, તેમની પાસેથી 10પ્રકારના દેશી ઓર્ગેનિક શાકભાજીના બીજ મેળવી વેરાવળ તાલુકાની 114થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિતરણ કરાયું છે. આ વિતરણનો શુભારંભ વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પ્રાંત અધિકારી વિનોદ જોશી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરદાસ નંદાણીયા, તેમજ શિક્ષક સંઘના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. શિયાળામાં દરેક શાળાના પ્રાંગણમાં અથવા કિચન ગાર્ડનમાં આ બીજ વાવવામાં આવશે. ઉપજેલા શાકભાજી બાદમાં મધ્યાહન ભોજન મારફતે બાળકોને અર્પણ કરવામાં આવશે. આ રીતે બાળકો કેમિકલમુક્ત અને પોષણયુક્ત શાકાહાર મેળવી શકે એ જ આ પહેલનો મુખ્ય હેતુ છે. પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આ પ્રસંગે જણાવ્યું કે, “વેરાવળ તાલુકાના શિક્ષકોની બાળકો પ્રત્યેની ખેવના અને સમર્પણ પ્રશંસનીય છે. શિક્ષક એ માત્ર માર્ગદર્શક નહીં, પરંતુ બાળકના ભવિષ્યના શિલ્પકાર છે અને આ પહેલ એનો જીવંત દાખલો છે.” અત્રે નોંધનીય છે કે વેરાવળ તાલુકાના શિક્ષકો પહેલેથી જ તિથિ ભોજન અથવા જન્મદિન પ્રસંગે જંકફૂડના બદલે ફ્રૂટ આપવાની અનોખી પરંપરા શરૂ કરી ચૂક્યા છે. ઘણા દાતાઓઆ વિચારથી પ્રેરાઈ હવે બાળકોને સ્વસ્થ ફળ અર્પણ કરી રહ્યા છે.જે શિક્ષકોની સંવેદનશીલ અને આગવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરદાસ નંદાણીયાએ જણાવ્યું હતું કે,“અમારા શિક્ષકો સતત બાળકોના હિત માટે નવા વિચારો લાવે છે. તન,મન અને ધનથી સહકાર આપતા શિક્ષકોના આ સાથથી જ આજે વેરાવળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઉમદા કાર્યો શક્ય બન્યા છે. ઓર્ગેનિક બીજ વિતરણ માટે પણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો અમૂલ્ય આર્થિક સહકાર પ્રાપ્ત થયો છે.” શિક્ષકોનીઆ હરિયાળી પહેલથી હવે વેરાવળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં માત્ર શિક્ષણ નહીં,પરંતુ “સ્વસ્થ જીવનની બીજ” પણ વાવવામાં આવી છે. જે આવતા સમયમાં બાળકોના નિરોગી ભવિષ્યનું હરિયાળું સ્વપ્ન સાકાર કરશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:53 am

લીમખેડા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત:અંધારા અને બેદરકારીનો ભોગ બન્યા ટ્રક-ટેમ્પો-બસ, બાયપાસ રોડ ઉપર લાઈટિંગ અને રોડ સ્ટડ લગાવવાની માંગ

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર લીમખેડા ગામ નજીક વિજય હોટલ પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર બે કલાકથી વધુ સમય સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ ઘટના રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. દાહોદ તરફ જતી ટ્રક અને ઇન્દોર તરફ જતી આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ બંને વાહનો રસ્તાની વચ્ચે અટકી પડ્યા બાદ, ઇન્દોરથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકને અંધારાને કારણે આગળના વાહનો ન દેખાતા બસ પણ તેમની સાથે અથડાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસે આ અકસ્માત માટે ગોધરા એક્સપ્રેસવે પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ગંભીર બેદરકારીને જવાબદાર ઠેરવી છે. દાહોદ હાઈવે પરથી લીમખેડા ગામમાં પ્રવેશવાના સ્થળે સિગ્નલ લાઈટ્સ, હેલોજન લાઈટ્સ કે રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા નથી. આ જ જગ્યાએ છેલ્લા બે વર્ષમાં પાંચથી વધુ ગંભીર અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ સ્થળ અકસ્માત ઝોન બની ગયું છે અને સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. અકસ્માતની જાણ થતાં જ લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમ અને ભથવાડા ટોલ બુથની રેસ્ક્યુ ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવવામાં આવ્યા હતા અને લગભગ 1:45 વાગ્યે હાઈવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ઈજાગ્રસ્તોમાં ટ્રકના ડ્રાઈવર, ક્લીનર, ટેમ્પો ચાલક અને એક મુસાફરનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. લીમખેડા પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પીએસઆઈ જયેશ પટેલે જણાવ્યું કે, આ ઘટના સ્પષ્ટપણે લાઇટિંગના અભાવને કારણે બની છે અને કંપનીને નોટિસ આપવામાં આવશે. ગ્રામજન નિતેશ પ્રજાપતિએ કંપનીની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની અથવા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે આ જગ્યાએ તાત્કાલિક લાઇટિંગ અને સાઇનબોર્ડ લગાવવાની માંગ તીવ્ર બની છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:33 am

ભ્રહ્માકુમારી માર્ગ નજીક કચરાના ઢગલામાં આગ:સોસાયટીના રહીશોની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી

પાટણ શહેરના ભ્રહ્માકુમારી માર્ગ પર, આનંદ સરોવર પાછળ આવેલી શ્રી કુંજ સોસાયટી નજીક કચરાના ઢગલામાં આગ લાગી હતી. સદનસીબે, સોસાયટીના જાગૃત રહીશોની સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે કચરો સળગાવવાની ઘટનાઓ બની રહી છે.આજે રાત્રે લગભગ 10 થી 11 વાગ્યાના ગાળામાં કોઈ અજાણ્યા શખ્સે કચરો નાખીને તેને સળગાવ્યો હતો, જેણે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં જ શ્રી કુંજ સોસાયટીના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રહીશોએ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ફાયર ફાયટર પહોંચે તે પહેલાં જ તેમણે ડોલો ભરીને પાણી નાખીને આગને આગળ વધતી અટકાવી હતી. સ્થાનિકોની આ સજાગતાને કારણે નજીકના વિસ્તારમાં કોઈ જાનમાલનું મોટું નુકસાન થતું ટળ્યું હતું.ત્યારબાદ નગરપાલિકાનું ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ઘટનાએ પાટણ નગરપાલિકાની કચરા વ્યવસ્થાપનની નિષ્ફળતા અને રાત્રિના સમયે કચરાના ગેરકાયદે નિકાલના મુદ્દા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.રહીશોએ માંગ કરી છે કે નગરપાલિકાએ આ કચરાના ઢગલાનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવો જોઈએ. સમગ્ર પાટણ શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનદારો અને લારીવાળાઓ દ્વારા જાહેરમાં કચરો નાખવામાં આવે છે. નગરપાલિકાએ આવા તત્વો સામે કડક પગલાં લેવા અને શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ સઘન બનાવવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:30 am

પાટણમાં યુરિયા-ડીએપી ખાતરની અછત:ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. તેમણે ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા અને કાળા બજાર અટકાવવા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં વાવણીનો સમય ચાલી રહ્યો છે અને ઊભા પાક માટે યુરિયા તથા ડીએપી ખાતરની વિશેષ જરૂરિયાત છે. જોકે, ખેડૂતોને ખરીદ-વેચાણ સહકારી મંડળીઓ અને બજારમાંથી પૂરતું ખાતર મળતું નથી.ખેડૂતો તરફથી સતત ફરિયાદો મળી રહી છે અને આ અંગેના વીડિયો પણ ધારાસભ્યને પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિને કારણે બજારમાં ખાતરના કાળા બજારની પ્રવૃત્તિઓ વધી છે, જ્યાં ખેડૂતોને ઊંચા ભાવે ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે. ધારાસભ્યએ કૃષિ મંત્રીને કરેલી રજૂઆતમાં તાત્કાલિક તપાસ કરાવવા અને ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. તેમણે કાળા બજાર અટકાવવા માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપવા પણ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:29 am

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આશ્રમ શાળામાં દિવાળી ઉજવી:વિદ્યાર્થીઓ સાથે ફટાકડા ફોડી, આનંદ વહેંચ્યો

વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. તેમણે બાળકો સાથે ફટાકડા ફોડી અને આતશબાજી કરીને આનંદ વહેંચ્યો હતો. આદિવાસી પરિવારના બાળકો આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે. દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં, બાળકો પણ આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે હેતુથી ધારાસભ્ય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના અનેક બાળકો આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે. દિવાળી વેકેશનના અંતિમ દિવસે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમના પરિવારના સભ્યો સાથે શાળામાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે અંતરિયાળ વિસ્તારોના આદિવાસી બાળકો પણ મોંઘાદાટ ફટાકડાની મજા માણી શકે અને દિવાળીના પર્વનો આનંદ અનુભવી શકે. બાળકોના ચહેરા પર છલકાતી ખુશી જોઈને ધારાસભ્યએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આશ્રમ શાળાના બાળકો સાથે દિવાળી ઉજવવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે ધારાસભ્ય અને વિદ્યાર્થીઓ વચ્ચેના સ્નેહપૂર્ણ સંબંધો દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:28 am

અતુલ ગેટ પાસે દારૂની હેરાફેરી પકડાઈ:ત્રણની ધરપકડ, રૂ. 12.90 લાખનો મુદ્દામાલ જપ્ત

વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. વલસાડ તાલુકાના અતુલ ફર્સ્ટ ગેટ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી વલસાડ રૂરલ પોલીસે ત્રણ વ્યક્તિઓને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કરણાજી પરમારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક કાળા રંગની મહિન્દ્રા થાર કાર (નંબર GJ-05-JT-7724)માંથી રૂ. 10 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. કારમાં ડ્રાઈવર સંદીપ સુમનભાઈ ધોરાજીયા (ઉંમર 33, રહે. સુરત), કાજલબેન રવિભાઈ ધોરાજીયા (ઉંમર 29) અને જ્યોતીબેન પાર્થભાઈ ચાવડા (ઉંમર 29) હાજર હતા. આ ત્રણેય વ્યક્તિઓ રૂ. 2,60,400ની કિંમતની વ્હિસ્કી અને વોડકાની કુલ 720 બોટલનું ગેરકાયદેસર પરિવહન કરી રહ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. 30,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12,90,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 176 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ એએસઆઈ હસમુખભાઈ અજમલભાઈને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:24 am

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન:વડોદરાના પ્રતાપનગરથી કટિહાર અને જયનગર માટે અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

વડોદરા મંડળ દ્વારા યાત્રીઓની સુવિધા માટે દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સિઝન દરમિયાન પેસેન્જરની વધતી ભીડ હેતુથી પ્રતાપનગર-કટિહાર અને પ્રતાનગર-જયનગર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09123/09124 પ્રતાનગર-કટિહાર (અઠવાડિક) અનરિઝર્વ્ડ સ્પેશિયલ [04 ફેરા]આ ટ્રેન 15 અને 22 ઓક્ટોબર, 2025ના રોજ 16:30 કલાકે પ્રતાપનગરથી ઉપડશે અને શુક્રવારના રોજ 07:15 કલાકે કટિહાર પહોંચશે. આજ રીતે, ટ્રેન નંબર 09124 કટિહાર–પ્રતાપનગર અઠવાડિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ 17 અને 24 ઓક્ટોબર, 2025ના રોજ 11:15 કલાકે કટિહારથી ઉપડશે અને રવિવારના રોજ 02:30 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશેઆ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની મુરવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, મિર્જાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, બરૌની અને ખગડિયા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09151/09152 પ્રતાપનગર-જયનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ (અઠવાડિક) [04 ફેરા]ટ્રેન નંબર 09151 પ્રતાનગર–જયનગર સ્પેશિયલ, 19 અને 26 ઓક્ટોબર 2025ના રોજ 16:35 કલાકે પ્રતાપનગરથી ઉપડશે અને મંગળવારના રોજ 10:00 કલાકે જયનગર પહોંચશે. આજ રીતે, ટ્રેન નંબર 09152 જયનગર–પ્રતાપનગર સ્પેશિયલ, 21 અને 28 ઓક્ટોબર, 2025ના રોજ 14:00 કલાકે જયનગરથી ઉપડશે અને ગુરૂવારના રોજ 05:30 કલાકે પ્રતાપનગર પહોંચશે. ગોધરા, રતલામ સહિતના સ્ટેશન પર ઉભી રહેશેઆ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની મુરવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, મિર્જાપુર, પં. દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને મધુબની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેનો વિશેની વધુ માહિતી www.enquiry.indianrail.gov.in પર મળશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:24 am

ધરમપુર સાયન્સ સેન્ટરના 15થી વધુ કામદારો બેરોજગાર:રિયલ સિક્યોરિટી એજન્સીએ નોટિસ વિના છૂટા કર્યા, દિવાળી પહેલા મુશ્કેલી

વલસાડના ધરમપુર સ્થિત સાયન્સ સેન્ટરમાં વર્ષોથી કાર્યરત 15થી વધુ કામદારોને દિવાળીના તહેવાર પૂર્વે જ કામ વિહોણા કરી દેવાયા છે. રિયલ સિક્યોરિટી એજન્સી દ્વારા આ કામદારોને કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કામદારો દ્વારા કલેક્ટર અને શ્રમ રોજગાર અધિકારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં, એજન્સી દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે આ કામદારો અને એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં એજન્સીના અધિકારીઓએ ધારાસભ્યને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 18 થી 45 વર્ષ સુધીના કર્મચારીઓને જ નોકરી પર રાખી શકાય છે. પરંતુ, સાયન્સ સેન્ટરના સરકારી ઠરાવ (GR) દસ્તાવેજોમાં સ્પષ્ટપણે 18 થી 60 વર્ષ સુધી નોકરી કરી શકાય તેવું લખાણ છે. ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ કામદારોને વેતન મળે, નોકરી મળે અને તેઓ બેરોજગાર ન થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. તેમણે આવી એજન્સીઓની મનમાની સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:24 am

રાજસ્થાનથી સુરતમાં MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે ઝડપાયા:OYO હોટલમાં રોકાયેલા 2 પેડલરો પાસેથી 25 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારની એક OYO હોટેલ પર દરોડો પાડીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા 2 પેડલર ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 25.29 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ્લે 287900 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. OYO હોટેલમાંથી ડ્રગ્સ સાથે ધરપકડક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર કોમ્પ્લેક્સની OYO હોટેલમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 2 આરોપીઓ (1) આકિબ જાવેદખાન સલીમ જાવેદખાન અને (2) દિનેશ જોધારામ જાટની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ MD ડ્રગ્સ, મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓ MD ડ્રગ્સના છૂટક વેચાણ માટે જ સુરત આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના પાલીથી સુરત વેચવામાટે આવ્યા'તાપકડાયેલા આરોપીઓ રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શનના રહેવાસી છે. પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે, આ MD ડ્રગ્સનો જથ્થો તેમણે રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાનો રહેવાસી રાજુ બિસ્નોઈ નામના ઇસમ પાસેથી ખરીદ્યો હતો. એટલે કે, રાજસ્થાનથી ડ્રગ્સની ખરીદી કરીને તેને સુરત શહેરમાં યુવાનોને વેચવાની પેરવીમાં હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે NDPS એક્ટ હેઠળ વધુ એક ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવી છે. મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસઆરોપીઓ પૈકી મુખ્ય આરોપી આકિબ જાવેદખાન સલીમ જાવેદખાન MD ડ્રગ્સની હેરાફેરી કરવાની ટેવ વાળો હોવાનું બહાર આવ્યું છે.આકિબનો ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કે તે અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. જાન્યુઆરી 2025ના અરસામાં પણ તે MD ડ્રગ્સની હેરાફેરી કરતા રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં NDPS કલમો હેઠળ પકડાયો હતો. ચારેક માસ જેલમાં રહ્યા બાદ જામીન પર છૂટતા જ તેણે ફરીથી MD ડ્રગ્સનું વેચાણ કરવાનું ચાલુ કરી દીધું હતું. આકિબ સામે પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં NDPS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે હવે તેના રાજસ્થાની સપ્લાયર રાજુ બિસ્નોઈને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 9:20 am

બેકાબૂ કાર ચાલકે સર્જ્યો અકસ્માત:લારી-રીક્ષાને અડફેટે લીધા, બે લોકો ઇજાગ્રસ્ત

જસદણ તાલુકાના આટકોટ ચોકડી પાસે ગત રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જસદણ તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ કાર બેકાબૂ બની હતી, જેના કારણે નજીકમાં ઉભેલી સોડાની રીક્ષા અને પાણીપુરીની લારીને ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ સ્વીફ્ટ કારમાં ચાર લોકો સવાર હતા. આટકોટ પોલીસ ચેક પોસ્ટ નજીક આવેલા વળાંક પર કારની ઝડપ વધુ હોવાથી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કારે સાઈડમાં ઉભેલી રીક્ષા અને લારીને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને ભારે નુકસાન થયું હતું. એક જાહેરખબરનું બોર્ડ પણ તૂટી ગયું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પોલીસે કાર ચાલક અને અન્ય સવાર લોકોની પૂછપરછ કરીને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 8:54 am

બોટાદના હડદડ ઘર્ષણના આરોપીઓ દિવાળી સુધી રિમાન્ડ પર:પોલીસે 65ને કોર્ટમાં રજૂ કરી 18 આરોપીના રિમાન્ડ માંગ્યા, કોર્ટે 20 ઓક્ટોબર સુધીના મંજૂર કર્યા, 47 જેલહવાલે

બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં 'કડદો' કરી ખેડૂતોને ઓછા ભાવનો વિવાદ ચાલે છે. હડદડ ગામે 12 ઓક્ટોબરે આમ આદમી પાર્ટી (AAP)એ ખેડૂતોની મહાપંચાયત યોજી હતી. જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી પોલીસે 65 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે 20 ફરાર છે, ત્યારે પકડાયેલા 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દિવાળી એટલે કે 20 ઓક્ટોબર સુધી આરોપીઓ રિમાન્ડ પર રહેશે. કોર્ટે દલીલો સાંભળી રિમાન્ડ મંજૂર કર્યાપોલીસે ધરપકડ કરાયેલા 65 આરોપીઓને ગઈકાલે સાંજે રજૂ કર્યા હતા જેમાં કોર્ટમાં મોડી રાત સુધી દલીલો ચાલી હતી. જે પૈકી પોલીસે 18 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલો સાંભળીને 18 આરોપીઓના 20 ઓક્ટોબર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુહાલ અન્ય 20 આરોપીઓને પકડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે. પોલીસે સમગ્ર હડદડ ગામમાં કોમ્બિંગ કરીને પથ્થરમારો કરનારા 20 જેટલા લોકોની અટકાયત કરી હતી અને તેમના વાહનો પણ ડિટેઇન કર્યા છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 8:45 am

લો.. આવી ગઈ ફટાકડા સિરીઝ:દિવાળીમાં ઘર સજાવટ-રોશની માટે મોદક, સ્ટાર, દીવા, સ્ટીક સિરીઝ તો બાંધણી, પતંગિયા, ફૂલની ડિઝાઇનમાં કંદીલની ખરીદીનો ઝગમગાટ

દિવાળીના પર્વને લઈને રંગીલા રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ છે ત્યારે ઘરની સાજસજાવટ અને રોશની માટે અવનવી લાઇટિંગ સિરીઝ અને કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં આ વખતે શહેરના સાંગણવા ચોકની મુખ્ય બજારમાં ફટાકડા સિરીઝ આકર્ષણનું કેન્દ્ર બની છે. રિમોટ સંચાલિત આ સિરીઝમાં ઓન બટન દબાવતાની સાથે જ સિરીઝમાં ફટાકડાના અવાજો શરૂ થઈ જાય છે અને ત્યારબાદ રિમોટથી જ તે બંધ કરી શકાય છે. આ ઉપરાંત મોદક, સ્ટાર, દીવા અને સ્ટીક સિરીઝ તો બાંધણી, પતંગિયા અને ફૂલની ડિઝાઇનમાં કંદીલ ધૂમ મચાવી રહ્યા છે. આ વખતે બજારમાં 30થી 250 ફૂટની લંબાઈની લાઇટિંગ સિરીઝ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ.50થી લઈ રૂ.2500 સુધીની છે. GST ઘટતા નાની સિરીઝમાં રૂ.40 તો મોટી સિરીઝમાં રૂ.60 નો ઘટાડો થયો છે. લાઈટિંગ સિરીઝમાં અઢળક અવનવી વેરાયટીઓ આવીરાજકોટમાં છેલ્લા 25 વર્ષથી દિવાળીની લાઈટિંગ સિરીઝનો બિઝનેસ કરતા પરિવારના સાગરભાઈ પોપટે જણાવ્યું હતું કે, આ વખતે દિવાળીમાં અઢળક અવનવી વેરાયટીઓ આવી છે. લાઇટિંગમાં LED, દિવાવાળી, ફટાકડા તેમજ નિયોન સિરીઝ બજારમાં ધૂમ મચાવી રહી છે. રૂ.50થી લઈ રૂ.2500 સુધીની કિંમતની સિરીઝનું આ વખતે વેચાણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જીએસટી ઘટવાના કારણે સિરીઝના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સિરીઝમાં એવરેજ રૂ. 50 નો ઘટાડો આવ્યો છે. ‘મોંઘવારીના કારણે ખરીદી ઓછી’જ્યારે દિવાળીમાં આ વખતે લોકોનો ખરીદીનો ઉત્સાહ કયા પ્રકારનો છે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ બજારમાં ખરીદી મીડીયમ દેખાઈ રહી છે. જેનું કારણ એ છે કે મોંઘવારી વધી છે આ ઉપરાંત અન્ય કારણ એ પણ હોઈ શકે કે દિવાળીના દિવસોમાં મોટા ભાગે લોકો તમામ ચીજ વસ્તુઓની ખરીદી કર્યા બાદ છેલ્લે સિરીઝની ખરીદી કરતા હોય છે જેને કારણે પણ હાલ ઓછો ટ્રાફિક દેખાઈ રહ્યો છે પરંતુ દિવાળીના દિવસોમાં અહીં વધુ ટ્રાફિક જોવા મળશે. કંદીલની અલગ અલગ પ્રકારની 40થી વધુ વેરાયટી છે: વેપારીજ્યારે અન્ય વેપારી હસુભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, દિવાળીમાં આ વખતે ઘરની સાજ સજાવટ માટેની કંદીલની અલગ અલગ પ્રકારની 40થી વધુ વેરાયટી છે. જેમાં એક પણ વસ્તુ ચાઇનાની નથી પરંતુ તમામ કંદીલ ભારતીય બનાવટની છે અને અમે તેનું મેન્યુફેક્ચર પણ જાતે અહીં જ કરીએ છીએ. પેપર અને પ્લાસ્ટિકની મદદથી આ બનાવવામાં આવે છે. જેમાં નેટ, ચાદર, બાંધણી, પતંગિયા અને ફૂલની ડિઝાઇનમાં કંદીલ બનાવવામાં આવ્યા છે. રૂ.150થી રૂ.500 સુધીના કંદીલ અહીં ઉપલબ્ધ છે. દિવાળીમાં આ વખતે ખરીદી ખૂબ સારી છે. લોકોનો રિસ્પોન્સ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે. GST ઘટતા ખરીદીમાં વધારો થયો છે. બજારમાં લાઈટિંગ સિરીઝ, ઝુમ્મરની કઈ કઈ વેરાઈટી?

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 8:20 am

ભાસ્કર વિશેષ:અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા પ્રાકૃતિક ઉત્પાદનો, બાયો ઇનપુટ પેકેજીંગ સાથેના સ્ટોલ ઉભા કરાયા

અમરેલી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ લાવવા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ઉત્પાદનો અને બાયો ઇનપુટ પેકેજીંગ સાથેનો વિશેષ સ્ટોલ ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્યો હતો. આ વિશેષ સ્ટોલની સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના મહેમાનોએ મુલાકાત લીધી હતી. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ બાયો ઇનપુટ જેવા કે જીવામૃત, નિમાસ્ત્ર દસપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર વગેરે રેડી ટુ યુઝ પેકિંગ સ્ટોલના માધ્યમથી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત દેશી અંબા મહોર ડાંગર, તલ, મકાઈ, બાજરો તેમજ ત્રણેય ઋતુના પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલ દેશી બીજનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. સાંસદએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું, સાથે જ સ્ટોલમાં નિદર્શિત વસ્તુઓની સરાહના કરી હતી. આ સ્ટોલમાં નિદર્શિત વસ્તુઓ કુલપતિ સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ કોલેજના આચાર્ય સ્વપ્નિલ દેશમુખ અને સ્ટાફ દ્વારા બનાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:12 am

ફરિયાદ:કુંડલાના મઢડામાં પવનચક્કીના કોન્ટ્રાક્ટ મુદ્દે 11 લોકોએ સર્વેની ફાઈલ, રોકડની લૂંટ કરી

સાવરકુંડલાના મઢડામાં પવનચક્કીના કોન્ટ્રાક્ટ મુદ્દે 11 લોકોએ યુવક પાસેથી સર્વેની ફાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હતી. ઉપરાંત માર પણ માર્યો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં 11 લોકો સામે ગુનો નોંધાયો હતો. મુ‌ળ ભાવનગરના જસેરના રબારીકાના અને હાલ અમરેલીના ચિતલ રોડ પર રહેતા જનકભાઈ અનકભાઈ વિછીયા (ઉ.વ.44)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સાવરકુંડલા, રાજુલા તથા મહુવા તાલુકાના ગામોમાં નવી પવનચક્કી ઉભી કરવા માટે જનીનનું સર્વેનું કામ પેટા કેન્ટ્રાક્ટર તરીકે કરી રહ્યા છે. જેનો કોન્ટ્રાક્કટ લુવારાના અશોક જયતાભાઈ બોરીચા રાખવા માગે છે. ત્યારે સાવરકુંડલાના ગામડાઓમાં સર્વે કરવા માટે અશોક બોરીચાએ નાણાંની માંગણી કરી હતી. નાણાં આપવાની ના પાડી દેતા ત્યારે ધર્મેન્દ્રસિંહ જેઠવા મઢડામાં સર્વે કરી પરત ફરતા હતા. ત્યારે લુવારાના બાલસિંગ બોરીચા, સેંજળના ગૌતમ ખુમાણ, પૃથ્વીરાજ ખુમાણ, સાવરકુંડલાના મહેશ વાળા, કમલેશ વાળા, રામગઢના કુલદીપ ખુમાણ અને અજાણ્યા ચાર શખ્સો કારમાં પ્રાણઘાતક હથિયારો લઈ ધસી આવ્યા હતા. અહીં ધર્મેન્દ્રસિંહ જેઠવા સાથે મારામારી કરી સર્વેની ફાઈલ અને રૂપિયા 4200ની લૂંટ કરી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પીઆઈ પી.એલ.ચૌધરી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:09 am

સાયબર ક્રાઈમ:વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન ન આપીને રૂપિયા 5.23 લાખ ખંખેર્યા

બગસરાના વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમીશન આપવાના બહાને રાજસ્થાનના શખ્સે રૂપિયા 5.23 લાખની છેતરપીંડી આચરી હતી.ઓનલાઈન નાણાં મેળવ્યા હતા. આ અંગે બગસરા પોલીસ મથકમાં રાજસ્થાનના શખ્સ સામે ગુનો નોંધાયો હતો. મુળ બગસરાના જીઈબી પાછળની સોસાયટીના વતની અને હાલ મુન્દ્રામાં સમુંદર ટાઉનશીપ પોર્ટ બંદર રોડ પર રહેતા હિતેષભાઈ મનસુખલાલ દવે (ઉ.વ.50)એ રાજસ્થાનના ઉદયપુર નાથદ્વારા રોડ સેકન્ડ ફ્લોર નવરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા કેતન કિરીટભાઈ ગોવિંદીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કેતન ગોવિંદીયાએ તેમના ભત્રિજા ભૂગુનું NEET UG MEDICAL /DENTALCOUS NELLING 2024 MBBS/BDS STATE OF RAJAમાં મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને રૂપિયા 5,23,000 ગુગલ પે મારફત જુદા જુદા ખાતામાં મેળવ્યા હતા. ત્યારબાદ તેમના ભત્રિજાને મેડીકલ કોલેજમાં એડમીશન નહી આપી 5.23 લાખની છેતરપીંડી આચરી હતી. આ અંગે બગસરા પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:08 am

સુવિધા:અમરેલી એસટી ડિવીઝનને નવી 10 બસની ફાળવણી

અમરેલીમાં એસટી ડિવીઝનને નવી 10 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ બસોનું આવતીકાલે અમરેલી બસ પોર્ટ ખાતે લોકાર્પણ કરવામાં આવશે. નવી બસો લાંબા અંતરના રૂટ પર દોડાવવામાં આવશે. અમરેલીના વિભાગીય નિયામક અતુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમરેલી એસટી ડિવીઝનને નવી 10 બસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમરેલીમાં 4, બગસરામાં 1, રાજુલામાં 1 અને અમરેલી એસટી ડેપોમાં 4 નવી બસો અર્પણ કરવામાં આવશે. અમરેલી એસટી બસ પોર્ટ ખાતે આવતીકાલે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ બસોનું લોકાર્પણ કરવામાં આવશે. નવી બસો લાંબા અંતરના રૂટ પર દોડાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:08 am

બગસરામાં કૃષિ મહોત્સવમાં હોબાળો:આપના કાર્યકરોની સાથે સાથે ખેડૂતોને પણ મેળામાં પ્રવેશતા અટકાવી દેવાયા

સમગ્ર અમરેલી જિલ્લામાં હાલમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે બગસરામાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં આપના કાર્યકરોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં થોડીવાર હોબાળો થયો હતો. પરંતુ પોલીસે તમામ કાર્યકરોને દરવાજેથી જ પાછા વાળતા મામલો થાળે પડ્યો હતો. બગસરા ખાતે આજે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવ બગસરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તથા અધિકારીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બગસરા શહેરમાં આ રવિ કૃષિ મહોત્સવમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી તંત્ર અને પોલીસને અગાઉથી જ બાતમી મળી હતી. જેના પગલે અહીં પ્રથમથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જાણે મેળાનું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. મહિલા પોલીસ પણ મોટી સંખ્યામાં હાજર રખાઈ હતી. અહીં મહોત્સવ શરૂ હતો તે વખતે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન માટે મેળાના સ્થળે દોડી ગયા હતા. જો કે પોલીસે આ કાર્યકરોને મેળાના સ્થળની બહાર જ રોકી લીધા હતા. થોડીવાર આપના કાર્યકરોએ બહાર દેકારો પણ મચાવ્યો હતો. જો કે પોલીસે તમામને બહારથી જ વળાવી દેતા અંતે મામલો થાળે પડ્યો હતો. કોણ કોણ ગયુ હતું વિરોધ કરવા ?અહીંના આમ આદમી પાર્ટીના ભાવનાબેન સતાસીયા, ભાવેશભાઈ ગોધાણી, સુધીરભાઈ બોરડ સહિત અનેક કાર્યકરો મેળાના સ્થળે વિરોધ માટે ગયા હતા. જો કે તેમને અંદર પ્રવેશ અપાયો ન હતો.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:07 am

સરકાર પર આક્ષેપ:ભીમાસર-ભુજ નેશનલ હાઇવેના કામમાં વિલંબ માટે સરકાર જવાબદાર

ભીમાસરથી ભુજ નેશનલ હાઇવે નં. 341નું છેલ્લા 3 વર્ષથી કામ ચાલુમાં છે અને 90% જેટલી કામગીરી પૂરી થઇ ગઇ છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઢીલી નીતિ તેમજ બેદરકારીના કારણે રોડના બાકી રહેતા કામમાં વિલંબ થઇ રહ્યો છે તેવો આક્ષેપ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કર્યો હતો. વરસામેડી ઓવર બ્રિજ પરથી ગેટકોની વીજ લાઇન પસાર થાય છે. જે છેલ્લા 3 વર્ષથી હટાવી શકાઇ નથી તેના માટે ગેટકો કંપની જવાબદાર છે આ બ્રિજ અધવચ્ચે અટકેલો પડ્યો છે. તેવી જ રીતે કુકમાં રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાનું કામ અટક્યું છે, જેના માટે જવાબદાર કેન્દ્રની સરકાર છે , કારણ કે બાગાયત ખેતીની જમીનો બચાવવી હોય તો હાલના ફાટક ઉપરથી ઓવરબ્રિજ બનાવવો જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે, અને આ માંગણી મુજબ બ્રિજ બને તો કોઈને વાંધો નથી. પરંતુ આ બાબતે કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય કરતી નથી તેવો આક્ષેપ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે કર્યો હતો. જો આ પુલ માટેનો કોઈ નિર્ણય નહીં લેવાય તો એજન્સી હાલનું કામ પૂર્ણ કરી જતી રહેશે તો આ બ્રિજની હાલત ભુજોડી બ્રિજ જેવી થશે અને કદાચ 10 વર્ષે પણ બ્રિજ પૂરો નહીં થાય. આના માટે પણ જવાબદાર ભાજપની સરકાર રહેશે . જેથી આ નેશનલ હાઈ-વેના કામ જલ્દી પૂરું થાય તે માટે સાંસદ વિનોદ ચાવડા રસ લઈ કામમાં થઇ રહેલો વિલંબ દૂર થાય તે માટે પ્રયાસો કરે, ભીમાસર-ભુજ હાઇ-વે જલ્દી પૂરો થાય તો ટ્રાફિકની સમસ્યા દૂર થાય તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખની યાદીમાં જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:05 am

સિટી એન્કર:મુંબઈની વાયુની ગુણવત્તા કથળી રહી છેઃ કોલાબામાં 180 AQI સાથે સૌથી ખરાબ

મુંબઈમાંથી ચોમાસાએ લગભગ એક્ઝિટ લઈ લીધી છે. બીજી બાજુ દિવાળીના ફટાકડાઓ ફૂટવાનું શરૂ થઈ ચૂક્યું છે, જેની સાથે મુંબઈની વાયુની ગુણવત્તા પણ ખરાબ થવા લાગી છે. મંગળવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) વધીને મધ્યમ શ્રેણીમાં આવી ગયો હતો. શિયાળો નજીક આવી રહ્યો છે તેની સાથે નીચાણવાળા વિસ્તારનમાં પવનની શૈલી ધીમી પડી રહી હોવાથી એક્યુઆઈ વધુ કથળવાની શક્યતા છે. કોલાબામાં 180 એક્યુઆઈ સાથે મુંબઈમાં સૌથી નબળી શ્રેણીની હવાની ગુણવત્તા મંગળવારે નોંધાઈ હતી, જ્યારે મુંબઈના અન્ય ભાગોમાં મધ્યમથી સંતોષકારક શ્રેણીમાં રહી હતી. જોકે દિવાળી શરૂ થતાં જ ફટાકડાઓ ફોડવાનું પ્રમાણ વધી જશે, જેને કારણે વાયુની ગુણવત્તા ચિંતાજનક સ્તરે આવી શકે છે, એમ પર્યાવરણવાદીઓએ જણાવ્યું છે.નોંધનીય છે કે 0-50 એક્યુઆઈ ઉત્તમ શ્રેણીમાં, 51-100 સંતોષકારક, 101-200 સુધી મધ્યમ, 201-300 નબળી, 301થી 400 એક્યુઆઈ અત્યંત નબળી અને 401-500 તીવ્ર એક્યુઆઈ તરીકે ગણવામાં આવે છે. એક્યુઆઈ વધે તેમ વાતાવરણ વધુ બિન- સ્વાસ્થ્યકારક બને છે.દરમિયાન મંગળવારે મુંબઈમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. રાતના સમયે વાતાવરણમાં થોડી ઠંડક રહે છે, પરંતુ બપોરના સમયે ગરમાટો મહેસૂસ થવા લાગ્યો છે. સમગ્ર રાજ્યમાં પણ આવી જ સ્થિતિ છે. આથી મુંબઈગરા હવે શિયાળો વહેલો બેસી તેની વાટ જોઈ રહ્યા છે.દરમિયાનન મહાપાલિકા દ્વારા સોમવારે વાયુની ગુણવત્તાને કથળતી રોકવા માટે મુંબઈમાં વિવિધ સ્થળે ચાલતાં બાંધકામો માટે શું ઉપાયયોજના કરવી જોઈએ તેની પર ઉચ્ચ સ્તરીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:04 am

ભાજપના આંતરિક સર્વેક્ષણમાં રસપ્રદ તારણ:આગામી ચૂંટણીમાં ઠાકરે-મનસે ગઠબંધનથી ભાજપ માટે ખતરો

આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે માટે અસ્તિત્વની લડાઈ માનવામાં આવી રહી છે. હાલમાં ઠાકરે બંધુઓ એકસાથે આવીને ગઠબંધન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચેના ગઠબંધનને મરાઠી મતદારોમાં વ્યાપક પ્રતિસાદ મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે આ ગઠબંધન ભાજપના બ્રાન્ડ ઠાકરે વિરોધી તરીકે મેયરપદ માટે પોતાનું નામ આગળ વધારવાના પ્રયાસોમાં મોટો અવરોધ ઊભો કરી શકે છે. રાજકીય સર્વેક્ષણો અનુસાર, જો ઉદ્ધવ- રાજ ઠાકરે એકત્ર આવે છે, તો તેઓ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 52 ટકા મત મેળવી શકે છે. ભાજપ દ્વારા એક ખાનગી કંપની પાસેથી કરવામાં આવેલા આંતરિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જો બંને જૂથો બેઠકો સમાન રીતે વહેંચીને ચૂંટણી લડે છે, તો મરાઠી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપ પર તેની માઠી અસર પડશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:04 am

વિપક્ષની માગણીઓ પર પંચ સકારાત્મક:ચૂંટણીમાં મતદાન ગોટાળાના આરોપ સાથે મહાઆઘાડી ચૂંટણી પંચ પાસે

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 'મતદાન ગોટાળા'ના આરોપોને પગલે, વિપક્ષના એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે (મંગળવારે) મુંબઈમાં રાજ્ય ચૂંટણી પંચને મુલાકાત લીધી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ચૂંટણી પ્રણાલીમાં ખામીઓ અને ઈવીએમમાં કથિત ગેરરીતિઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી, પરંતુ આજની બેઠકમાં કેટલાક મુદ્દાઓ ઉકેલાયા ન હોવાથી આવતીકાલે ફરી બેઠક યોજાશે. આજની બેઠકમાં રાજ ઠાકરેએ પણ હતા. તેમણે ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા. ચૂંટણી હજુ શરૂ થઈ નથી છતાં મતદાર નોંધણી કેમ બંધ કરવામાં આવી? શું આજે ૧૮ વર્ષના થઈ રહેલા લોકોને મતદાન કરવાની મંજૂરી ન આપવી જોઈએ? બે જગ્યાએ મતદારોના નામ, મતદાર યાદીઓમાં ભારે ગૂંચવણ, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ઓછી છે એવા મુદ્દાઓ પર પંચના ધ્યાનમાં લવાયા હતા. દરમિયાન, શરદ પવારની પાર્ટીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા 18 નવેમ્બરના રોજ, અમે પંચને એક પત્ર સુપરત કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે નકલી મતદાર નોંધણીઓ છે. એક ધારાસભ્ય કહી રહ્યા છે કે અમે મતદારો બહારથી લાવ્યા હતા.મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મંત્રાલયના સાતમા માળે પહોંચ્યું હતું. આ સમયે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે જોવા મળ્યા હતા. શરદ પવાર પણ ઘણાં વર્ષો પછી મંત્રાલય પહોંચ્યા હતા. દરમિયાન તમે હાર જુઓ છો, ત્યારે તમારે કારણો જોવા પડે છે. તમારી પાસે તાકાતનો અભાવ છે ત્યારે તમે પીઠમાં છરા મારવાની યુક્તિનો આશરો લો છો અને આ તેમાંથી એક છે, એમ મંત્રી ગુલાબરાવ પાટીલે ટીકા કરી હતી. ઠાકરે બંધુઓ, શરદ પવાર અને બાળાસાહેબ થોરાત ચૂંટણી અધિકારીઓને મળવા પહોંચ્યા છે. રાહુલે મુદ્દો ઉઠાવતાં વધુ મહત્ત્વ મળ્યુંકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન 'વોટ હેરાફેરી'નો મુદ્દો ઉઠાવ્યો છે, જેના કારણે તેને વધુ મહત્વ મળ્યું છે. આ સંદર્ભમાં, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે વધતી જતી શંકાઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી, તમામ પક્ષના નેતાઓએ ભેગા થઈને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:03 am

ભૂપતિ સંગઠનમાં સૌથી પ્રભાવશાળી વ્યૂહરચનાકાર:ગઢચિરોલીમાં નકસલવાદીની, 60 હોદ્દેદારો દ્વારા શરણાગતી

રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં જ્યેષ્ઠ નકસલવાદી મોલોજુલા વેણુગોપાલ ઉર્ફે ભૂપતિ અને 60 અન્ય હોદ્દેદારોએ સોમવારે રાત્રે પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હતી. તેમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ઓની કેન્દ્રીય સમિતિનો સભ્ અને વિભાગીય સમિતિના 10 સભ્યનો સમાવેશ થાય છે.ભૂપતિ માઓવાદી સંગઠનમાં સૌથી પ્રભાવશાળી વ્યૂહરચનાકાર તરીકે ગણવામાં આવતો હતો અને લાંબા સમયથી મહારાષ્ટ્ર- છત્તીસગઢ સીમા પર તેની પલટનની કામગીરીની દેખરેખ રાખતો હતો. જોકે તાજેતરના સમયમાં તેની અને ટોચના નક્સલી આગેવાનો વચ્ચે મતભેદ વધતાં આંતરિક સંઘર્ષ વધી ગયો હતો.ભૂપતિએ દાવો કર્યો હતો કે સશસ્ત્ર સંઘર્ષ નિષ્ફળ ગયો છે, જાહેર ટેકો ખતમ થઈ રહ્યો છે અને સેંકડો હોદ્દેદારોના મોત થઈ રહ્યા હોવાથી શાંતિ અને વાટાઘાટ માટે આગળ વધવું જોઈએ. જોકે અન્ય હોદ્દેદારોએ અન્ય આગેવાનો સાથે લડત ચાલુ રાખવાનું નક્કી કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.કેન્દ્રીય નકસલી આગેવાનીના દબાણ હેઠળ આખરે ભૂપતિએ શસ્ત્રો નીચે મૂકી દેવાનું નક્કી કરીને સંગઠનમાંથી બહાર નીકળ્યા અને પોતાના અનુયાયીઓ સાથે ગઢચિરોલી પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હોવાની ઘોષણા કરી હતી. તાજેતરના મહિનાઓમાં ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સામે શરણાગતી સ્વીકારતા નકસલવાદીઓનો એકધાર્યો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અગાઉ આ વર્ષે ભૂપતિની પત્ની તરાક્કાએ પણ શરણાગતી સ્વીકારી હતી. તે પ્રતિબંધિત ચળવળની દંડકારણ્ય વિશેષ ઝોનલ સમિતિની સભ્ય હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:02 am

3 ના મોત:મુન્દ્રા પંથકમાં અકસ્માત-આપઘાતમાં 3 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ

મુન્દ્રા પંથકમાં અકસ્માત-આપઘાતમાં 3 ના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. સમાઘોઘા ગામે રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના હાલે સમાઘોઘાના સોનલ નગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય સીતાબેન રાજેશભાઈ ગૌતમે આ પગલું ભરી લીધું હતું હતભાગી બીમાર હોઇ સારવાર માટે ખર્ચો વધારે થતો હોવાથી તેની ચિંતા રાખીને રૂમની બિલ્ડિંગની લોબીમાં આવેલ લોખંડના દરવાજામાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો. બનાવને પગલે પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ તરફ મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે પીએમઈએ સોલાર કંપનીના ડિસ્પેચ વિભાગમાં કરુણ બનાવ સામે આવ્યો હતો. ગજોડ ગામે રહેતા ભાવેશભાઈ મહેશ્વરી આ કંપનીમાં કામ કરતા હતા તેઓ કન્ટેનરમાં ઊભા હતા ત્યારે ફોર ક્લિપ મારફતે જીઆઇ પાઇપના બંડલ મશીનના બૂમ વડે ઊંચા કરી કન્ટેનરમાં લોડ કરવાની કામગીરી ચાલુ હતી જીઆઇ પાઇપના બંડલમાં બાંધેલ વેબિંગ બેલ્ટ હુકમાંથી કાઢતી વખતે ફોર ક્લિપ મશીનના ઓપરેટરે બેદરકારી દાખવતા બૂમ છટકીને ભાવેશ પર પડતા માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. હતભાગીના ભાઈ મનજીભાઈએ પોલીસમાં ગુનો દાખલ કરાવતા ફોર ક્લિપના ઓપરેટર સામે ફરિયાદ નોંધાઇ હતી. રાશાપીર સર્કલે ટ્રેઇલરે ટક્કર મારતા યુવકનું મોતમુન્દ્રા શહેરમાં રાશાપીર સર્કલથી ટી પોઈન્ટ જતા રસ્તા પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. ફરીયાદી અંજારના મખિયાણના રાજાભાઈ પબાભાઈ રબારીએ મુન્દ્રા પોલીસમાં જણાવ્યું કે,તેમના ભાઈ મશરૂભાઈ જીજે 12 ઇએચ 6651 નંબરની બાઇક લઈને નોકરી પર જતા હતા ત્યારે પુરઝડપે આવેલા ટ્રેઇલર ચાલકે પાછળથી ટકકર મારતા ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત કરી આરોપી ચાલક નાસી ગયો હતો જેની સામે ગુનો દાખલ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:02 am

રોજગાર:1.5 કરોડ મેરિટાઈમ નોકરીઓ 2047 સુધી સર્જાશેઃ સોનોવાલ

ઈન્ડિયન પોર્ટસ એસોસિયેશન (આઈપીએ) સાથે સહયોગમાં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ઈન્ડિયા મેરિટાઈમ વીક 2025 નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં 27થી 31 ઓક્ટોબરે યોજાશે એવી ઘોષણા કરવામાં આવી હતી. મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું કે ભારતનો સમુદ્રિ પ્રવાસ નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યો છે. ભારતના સમુદ્રિ ક્ષેત્રનો સુમેળ વિકસિત ભારત @ 2047ના ધ્યેય સાથે સુમેળ સધાયો છે અને 2047 સુધી અમે ઉચ્ચ સ્તરનું રોકાણ, વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહેતર વૈસ્વિક સ્પર્ધાત્મકતાનું લક્ષ્ય છે. રૂ. 80 લાખ કરોડા નિયોજનબદ્ધ રોકાણ અને 1.5 કરોડ નોકરીઓની નિર્મિતી અને મેરિટાઈમ અમૃતકાળ ધ્યેયના ભાગરૂપે હરિત શિપિંગ માટે મજબૂત ભાર સાતે 2047 સુધી સમુદ્રિ ક્ષેત્રમાં ભારત વૈશ્વિક આગેવાની સ્થાપિત કરશે, એમ તેમણે જણાવ્યું હતું. 2047 સુધી 12 મુખ્ય બંદરો સંપૂર્ણ કાર્બન નિષ્પક્ષતા હાંસલ કરવા સુસજ્જ છે અને 2035 સુધી હરિત ઊર્જા પરિવર્તનનું લક્ષ્ય રખાયું છે, જેને લઈ સક્ષમ અને ટેકનોલોજી પ્રેરિત સમુદ્રિ ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. દરમિયાન મેરિટાઈમ વીકમાં 1 લાખથી વધુ ડેલીગેટ્સ, 100 દેશના 500 પ્રદર્શનકારી ભાગ લેશે, જેમાં સિંગાપોર, યુએઈ, સાઉથ કોરિયા, જાપાન અને ડેન્માર્કને મંત્રાલયીન ડેલીગેશન્સનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:02 am

રવિ કૃષિ મહોત્સવની ઉજવણી:આધુનિક યુગમાં ટેક્નોલોજીના સમન્વયથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી આવશ્યક બની

વર્તમાન સમયે ટેક્નોલોજીના સમન્વયથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી આવશ્યક છે તેમ ભુજ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવમાં અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવાયું હતું.કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ ખેડૂતો માટે નવી ટેક્નોલોજી તથા માહિતીના કેન્દ્રસ્થાન બની ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાને ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સહિતની યોજનાઓ થકી કિસાનોને આર્થિક મજબૂતી બક્ષી છે. તેમણે બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા કચ્છ તથા અહીંના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઇ પટેલે ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિ સાથે વૈજ્ઞાનિક જાણકારી સાથે પાક વાવેતર જમીન સુધારણા સાથે પાણીની બચત હેતુ ટપકસિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવા તેમજ સ્વેદશી ચીજ વસ્તુઓ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. કચ્છમાં વરસાદની પેર્ટન બદલાઇ હોવાથી ખેડૂતોને પણ નવા રીસર્ચ સાથે નવી પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું. વૈજ્ઞાનિક ડો. જે.એમ.પટેલે કૃષિને કઇ રીતે નફાકારક બનાવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું બહુમાન કરાયું હતું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત સદસ્ય હરીભાઇ જાટીયા, તાલુકા પંચાયત સદસ્ય તુષારીબેન વેકરીયા, ભુજ પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, નાયબ બાગાયત નિયામક મનિષ પરસાણીયા, નાયબ પશુપાલન નિયામક આર.ડી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:01 am

સમસ્યા:કચરાના નિકાલ માટે દોઢ કરોડની રકમ ચૂકવાઇ છતાં સિહોરમાં કચરાની ડમ્પિંગ સાઇટ ફરી એક વખત વિવાદનું કારણ બની

સિહોર નગરપાલિકાના વોર્ડ નં.2માં ઉથરેટી વિસ્તારમાં આવેલ કચરાની ડમ્પિંગ સાઇટ ફરી એક વખત વિવાદનું કારણ બની છે. વિપક્ષ નેતાની સ્થળ મુલાકાત બાદ કરેલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં કરેલ ફરિયાદ અનુસંધાને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નગરપાલિકાને ફાળવાયેલ નોટિસનો હજુ જવાબ પણ નગરપાલિકાએ નથી કર્યો ત્યાં વિપક્ષ નેતાએ વિજિલન્સ તપાસની લેખિત રજૂઆત કરતા નગરપાલિકાના સત્તાધીશો સામે નવી મુસીબત આવી પડી છે. વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ ગાંધીનગર વિજિલન્સ કમિશ્નરમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ઉથરેટીમાંથી કચરાના નિકાલ તેમજ પ્રોસેસિંગ માટે આશરે દોઢ કરોડ જેટલી રકમ ચૂકવાઇ ગઇ છે તેમ છતાં સ્થળ પર કચરાનો નિકાલ થયો હોવાનું જણાતું નથી તેમજ સ્થળ પર કચરાના પ્રોસેસિંગ માટેની એક પણ મશીનરી પણ જોવા મળતી નથી. આ અંગે ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 7:00 am

સોના ચાંદીની ખરીદી:ભાવ વધારા વચ્ચે પુષ્ય નક્ષત્રમાં સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી શુકન સચવાયા

ધનતેરસ અને દિવાળી પૂર્વે ભુજ શહેરમાં ખરીદીનો મહાયોગ સર્જાયો હતો. મંગળવારે સવારે 11:55 થી બુધવારે બપોરે 12:00 સુધી વર્ષ 2025નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી લોકોમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શુભ સમયનો લાભ લેવા માટે સોનું, ચાંદી અને લક્ષ્મીજીના સિક્કાની ખરીદી કરીને લોકોએ પરંપરા નિભાવી હતી. વધેલા ભાવ વચ્ચે પણ શુભ મુહૂર્ત ગુમાવવા ન ઇચ્છતાં લોકો પોતાના બજેટ મુજબ ખરીદી કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ખાસ કરીને 2000 થી 5000 રૂપિયાના ચાંદીના સિક્કાઓની ખરીદી કરી હતી.આગામી લગ્નગાળાની સીઝનને ધ્યાનમાં રાખીને લોકોએ શુભ મૂહર્તમાં જ્વેલરી, કાનના ટોપસ, પેન્ડન્ટ અને રિંગની ડિમાન્ડમાં વધારો નોંધાયો હતો. બજારમાં મંગળવારે ચાંદીના ભાવ પ્રતિ કિલો 1.90 લાખ રૂપિયા, જ્યારે સોનાના બિસ્કીટની કીમત 12.10 લાખ રૂપિયા રહી હતી. ઊંચા ભાવ છતાં પુષ્ય નક્ષત્રના શુભ પ્રસંગે લોકોએ ખરીદી કરીને શુભ શરૂઆત કરી હતી.આ અંગે સોની કિશોર પ્રેમજીએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રમાં લોકોએ પરંપરા મુજબ ભાવમાં વધારો થયો હોવા છતાં પણ સોના-ચાંદીની ખરીદી કરી. આગમી દિવસોમાં આવનારા તહેવારોમાં લગ્ન સીઝન કારણે સોના-ચાંદીની માંગમાં વધારો થવાની શક્યતા છે. તો હિતેશભાઈ સોનીએ જણાવ્યું હતું એ ભાવ વધારાના કારણે લોકોએ મૂહર્ત જરૂર સાચવ્યા છે, પણ ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ધંધામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. 18 કેરેટ સોનાની જ્વેલરીની માંગમાં વધારોપુષ્ય નક્ષત્રના શુભ પ્રસંગે સોનાના વધેલા ભાવ વચ્ચે પણ ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને 18 કેરેટ સોનાની જ્વેલરીની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હળવા વજનની અને ફેશનને અનુરૂપ ડિઝાઇનની જ્વેલરી પ્રત્યે યુવાનોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું. ઉંચા ભાવ છતાં લોકોે શુભ મુહૂર્તમાં સોનાચાંદીની ખરીદી કરીને પરંપરા નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે 1 ગ્રામ 22 કેરેટ અને 18 કેરેટના ભાવમાં પણ 2 હજાર રૂપિયાનો ફરક હોવાથી લોકોને થોડો આર્થિક રાહત પણ મળે છે. પુષ્ય નક્ષત્રમાં 1 ગ્રામ સોનાનો ભાવ​​​​​​​કેરેટ ભાવ

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:59 am

ગૌરવ:નેટબોલ સ્પર્ધામાં બુનિયાદી વિદ્યાલય ફરિયાદકાની બહેનોની પસંદગી થઇ

ભાવનગર.જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ આયોજીત શાળાકિય રમતોત્સવ - 2025 રાજ્યકક્ષાની અંડર-14-17-19 બહેનોની નેટબોલ સ્પર્ધા તાજેતરમાં રમત-ગમત સંકુલ-પાટણ મુકામે યોજાયેલ. જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય - ફરિયાદકાની અંડર - 14-17-19 બહેનોની નેટબોલ ટીમે ભાગ લીધો હતો. જેમાં શાળાની પાંચ બહેનોની રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ટીમમાં પસંદગી થઇ છે. નેટબોલ સ્પર્ધામાં ઓલ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી અંડર-17 બહેનોની 23 ટીમોએ ભાગ લીધે લીધો હતો. જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય,ફરિયાદકા (ભાવનગર ગ્રામ્ય)ની ટીમે ઓલ ગુજરાતમાં અંડર-17 બહેનોની ભાવનગર ગ્રામ્યની ટીમ ચોથા ક્રમે વિજેતા બની ભાવનગર જિલ્લાનું નામ રોશન કરેલા નેટબોલ રમતમાં અંડર-17 બહેનોની ટીમમાંથી વાઘેલા બંસીબેન મુકેશભાઇ (શેઢાવદર) અને ચૌહાણ મિતવા વલ્લભભાઇ (સોડવદરા) તથ ઓલ ગુજરાતમાં અંડર-19 બહેનોની ભાવનગર ગ્રામ્યની ટીમ ત્રીજા ક્રમે વિજેતા બની બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગર જિલ્લાનું નામ રોશન કરેલ, નેટબોલ રમતમાં અંડર-19 બહેનોની ટીમમાથી મોભ શ્રદ્ધા હરેશભાઈ (શેઢાવદર), ગુડાળા ક્રિષ્નાબેન હસમુખભાઇ (શેઢાવદર) અને ઉણેચા નમ્રતાબેન વિજયભાઇ (કરિયાદકા) રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ બહેનો આગામી ડિસેમ્બરમાં 15 દિવસનો પ્રિનેશનલ કેમ્પ પૂર્ણ કરી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજીત 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક મુકામે રમવા જશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:59 am

ત્રાસ:તહેવારોમાં મહુવાની જનતા રખડતા ઢોરથી ત્રાહિમામ

દિવાળીના તહેવારોમાં મહુવાની જનતાને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા નગરજનોમાં માંગ ઉભી થવા પામી છે. મહુવામાં રખડતા ઢોર ખુટીયા, ગાયનો ત્રાસ વધી રહ્યો છે. હવેલી શેરી, સુખનાથ શેરી, કંડોળીયા શેરી, દરબાર ગઢ શાકમાર્કેટ, સેક્રેટરીએટ બિલ્ડીંગ, નવી શાકમાર્કેટ, ગાંધીબાગ, વાસીતળાવ, શહેરના સ્લમ, સોસાયટી વિસ્તારમાં તેમજ તમામ જાહેર માર્ગ ઉપર રખડતા આખલાના તરખાટ અને ગાયોના અડિંગાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જાહેર રોડ ઉપર રાહદારીઓ અને વાહન ચાલકો આવા રખડતા ઢોરના શિકાર બની રહ્યાં છે. રખડતા ઢોરને પકડી ડબ્બે પુરવાની જવાબદારી નિભાવવા સ્થાનિક સતાવાળા પાછી પાની કરી રહ્યાં છે અને ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર કે વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી. નિષ્ણાત માણસો નથી મળતા તેવા ગાણા ગવાઇ રહ્યાં છે. માત્ર જાહેર નોટીસો પ્રસિધ્ધ કરી તાકીદો કરવામાં આવે છે. મોટાભાગના રખડતા ઢોરના માલિક હોય છે. તેમ છતા આવા માલિકો દ્વારા ઢોરને છુટા મુકી દેવામાં આવે છે. સાંજે પરત લઇ જવામાં આવે છે. મહુવા નગર સેવા સદન દ્વારા આવા રખડતા ઢોર અને તેના માલિકો સામે કોઇ નક્કર અને કડક કાર્યવાહી ન થતા આ ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોર તેમજ રખડતા ખુટીયા રાહદારીઓ, બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોને ઘાયલ કરે છે. કયારેક જીવનું જોખમ ઉભુ થાય છે. તહેવારોમાં તો લોકો ભયમુકત બની રહી ફરી શકેઆગામી દિવાળી તહેવારોના દિવસોમાં પશુપાલકો દ્વારા ઢોરને છુટા મુકી દેવામાં ન આવે અને તંત્ર દ્વારા પણ આગામી તહેવારોના દિવસો દરમીયાન રખડતા ઢોર ડબ્બે પુરી તેને છોડાવવા આવનાર માલિકો પાસે મોટા પ્રમાણમાં દંડ વસુલ કરવામાં આવે તો જ તહેવારોમાં નગરજનો રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત બની શહેરના રાજમાર્ગો ઉપર મુક્ત રીતે વિહાર કરી શહેરની રોશની માણી શકશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:58 am

આયોજન:મહુવામાં ખેડૂતોના કાર્યક્રમમાં TDOએ ખેડૂતોને જાનવર સાથે સરખાવતા વિવાદ

મહુવા તાલુકા પંચાયત દ્વારા મહુવા માર્કેટ યાર્ડના હોલમાં ખેડૂતો માટેના કૃષિ વિકાસ સપ્તાહ અંતર્ગત 500 જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં કૃષિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન જમણવારના પ્રસંગે વ્યવસ્થા જાળવવા તાલુકા વિકાસ અધિકારીએ એક પ્રસિધ્ધ ગુજરાતી કવિની પંકિતનો ઉપયોગ કરીને મૌખિક સુચના આપી હતી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાક લોકોએ અર્થનો અનર્થ કરીને હોબાળો મચાવ્યો હતો. રાજયભરમાં દર વર્ષે કૃષિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત મહુવા તાલુકામાં પણ માર્કેટયાર્ડની જગ્યામાં ખેતી વિકાસ દિન અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.કાર્યક્રમ બાદ જમણવારના કાર્યક્રમમાં જમવા માટે થોડી અવ્યવસ્થા ઉભી થતા મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ કવિની ભાષામાં કહયું કે સમજાવ્યા પણ સમજે નહીં તે જનાવરની જાત તેમ કહેતા કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાક લોકોએ ટીડીઓની ભાષાનો અર્થનો અનર્થ કરીને દેકારો મચાવ્યો હતો અને ખેડૂતોના કાર્યક્રમમાં વિધ્ન ઉભુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે TOD મકવાણાએ કહયું હતુ કે કોઇને વ્યકિતગત કે સમુહને આવુ કહેવાનો મારો આશય ન હતો પરંતુ કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવા અને અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે હું સાહિત્યકાર હોવાથી અખા ભગતની પંકિતઓ બોલ્યો હતો.જે કેટલાક લોકો સમજી ન શકતા વાતનું વતેસર કર્યુ હતુ અને કાર્યક્રમમાં અવરાધ ઉભો કરવા કોશિશ કરી હતુ બાકી બીજુ કંઇ નથી ખેડૂતો માટેનો આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:55 am

ત્રણ દિવસ સુધી વિતરણ ખોરવાયું:દિવાળીની તૈયારીઓ વચ્ચે ભુજમાં ‘પાણીનો માર’

દીપોત્સવ શરૂ થવાને હવે આઠ દિવસ પણ બાકી નથી ત્યારે મોટાભાગના ઘરોમાં દિવાળીની સાફ સફાઈ શરૂ થઈ જતા પાણીનો વપરાશ બમણો થઈ જાય છે. તેવામાં ભુજને પાણી પૂરું પાડતી નર્મદાની લાઈન સાપેડા પાસે રવિવારે રાત્રે તૂટી જતા ત્રણ દિવસથી ભુજના મોટાભાગના વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું હતું. જો કે આ જૂની લાઈનને જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને સોમવાર મોડી રાત્રી સુધી રીપેરીંગ કરી નાખતા આજથી ભુજના દરેક વિસ્તારમાં પાણી પહોંચતું થશે તેવું ભુજ નગરપાલિકાના સંચાલકોએ જણાવ્યું હતું. જ્યાં સુધી પાણી પુરવઠા દ્વારા નિર્મિત ત્રણ ઓવરહેડ વોટર ટેંક નહીં મળે ત્યાં સુધી ભુજ શહેરને નિયમિત રીતે પાણી પહોંચાડવું અઘરું છે. કારણ કે જેટલી સંગ્રહ શક્તિ છે તેનાથી વધુ વિતરણ કરવું પડે. માટે એક બે દિવસ પાણી વિતરણ બંધ રાખ્યા વગર છૂટકો નથી. ભુજની રોજીંદી જરૂરિયાત 50 એમ.એલ.ડી.ની સામે નર્મદાનું 40 એમ.એલ.ડી. પાણી આવે છે. તે સિવાય બોરમાંથી ઉપલબ્ધ પાણી મેળવ્યા બાદ પણ દરરોજ પાણી પહોંચાડી શકાતું નથી. રવિવારની રાત્રે નર્મદાનું પાણી ભુજ સુધી પહોંચાડે છે તે ગુજરાત પાણી માળખાકીય વિભાગની પાઇપ લાઈનમાં સાપેડા પાસે ફરીથી ભંગાણ પડતા વિતરણ બંધ થયું હતું. ઇજનેરોએ 24 કલાકમાં રીપેરીંગ પૂરું કરીને પૂર્વવત પાણી સપ્લાય થયું ત્યાં સુધી ભુજના નગરપાલિકાના પાણીના ટાંકા ખાલી થઈ જતા એકાંતરે મળતું પાણી ત્રણ દિવસ સુધી વિતરણ ખોરવાઈ ગયું હતું. પાણી સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું કે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સપ્લાય પણ શરૂ થઈ ગયો છે. ભુજ નગરપાલિકાના મહાકાય ટાંકા ભરાઈ જતા આવતીકાલથી દરેક વિસ્તારમાં વિતરણ શરૂ થઈ જશે. હાલ થોડા સમયથી પાણી વિતરણ અનિયમિત થવાથી ફરીથી ટેન્કરનો ઉપાડ વધ્યો છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે નગરપાલિકા તરફથી લોકોને પાણીના વપરાશમાં કપાત રહેશે તેવી કોઈ જ પ્રેસનોટ જારી કરવામાં આવી નહોતી. પાણી પુરવઠા વિભાગના ત્રણ પાણીના ટાંકા તૈયાર પણ સુપ્રત ક્યારે?નલ સે જલ તક યોજના હેઠળ ભુજમાં ત્રણ પાણીના ટાંકા બની ગયા છે. મહિનાઓથી તૈયાર આ ટાંકાઓનું પાણી પુરવઠા વિભાગ સંપૂર્ણ તપાસ કરી લીકેજ નથી તેનું સર્ટિફિકેટ આપ્યા બાદ જ ભુજ નગરપાલિકા કબજો સંભાળશે. હજુ સુધી શા માટે તેમાં પાણી સંગ્રહ નથી થતો તે અંગે સુધરાઈ ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે માત્ર જોડાણનું કામ બાકી છે અને તે માટે બે થી ત્રણ દિવસનું શટ ડાઉન રાખવું પડે જે નવરાત્રી કે દિવાળી જેવા દિવસોમાં પરવડે નહીં માટે દિવાળી બાદ યોગ્ય સમય નક્કી કરીને જોડાણ આપવામાં આવશે. જોકે એક વાત એવી પણ જાણવા મળી કે ભૂજીયાની તળેટીમાં બનેલા ટાંકાની લીકેજ સમસ્યા હજુ ઉકેલાઈ નથી. આ છે ભુજ નગરપાલિકાના અધિકારીઓ–પદાધિકારીઓના જવાબ ભુજમાં ત્રણ દિવસથી પાણી વિતરણ ખોરવાઈ ગયા બાદ પૂર્વવત ક્યારે થશે તે બાબતે ‘દિવ્ય ભાસ્કરે’ પૂછતા સુધરાઇના અધિકારી અને પદાધિકારીઓએ આ પ્રમાણે જવાબ આપ્યા હતા.• અનિલ જાદવ (સી.ઓ.) : GWIL ની નર્મદાની લાઈન સાપેડા પાસે તૂટી હતી, મરમ્મતનું કામ થઈ ગયું છે, આજે વિતરણ પૂર્વવત થઈ જશે.• રશ્મિબેન સોલંકી (પ્રમુખ) : નર્મદાનું પાણી ઉપરથી બંધ થયું છે. શેનાથી ખોરવાયું તે ખ્યાલ નથી. ધારાસભ્ય પાસે ફોન કરાવ્યો છે, આજે ચાલુ થઈ જશે.• મહિદિપસિંહ જાડેજા (કા.ચેરમેન) : યુધ્ધના ધોરણે કામ કરાવી પાણી ચાલુ કરાવ્યું છે. આજે બધે જ સપ્લાય થઈ જશે તેવું આયોજન છે. નર્મદાની નવી પાઇપ લાઇન પડી જાય તો છાસવારે તૂટે છે, તેમાંથી છૂટકારો મળે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:54 am

વારસો થયો જર્જરિત:કૃષ્ણકુમારસિંહજી ડિસ્પેન્સરી બની ચામાચીડિયાનું ઘર

આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રજવાડાના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના 29 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા પ્રજાલક્ષી કાર્યોની સાક્ષી સમા અનેક કામોને લોકો ભૂલ્યા નથી. કૃષ્ણકુમારસિંહજીએ પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે પોતાની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સને-1919માં તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનું નિર્માણ કરાવ્યું હતું. સને-1947માં આઝાદી મળ્યાના 78 વર્ષ બાદ સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી 106 વર્ષ જુની ઐતિહાસિક સ્મારક સમાન શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી ચામાચીડિયાનું ઘર બની છે ! સને-1947માં અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાના ભાવનગર રજવાડાની સંપત્તિ દેશને સમપર્ણ કરી દીધી હતી. જેમાં રાજવી કૃષ્ણકુમારસિંહજીના પ્રજા વત્સલ કાર્યોનો સ્મૃતિ સમાન ત્રાપજ ગામ નજીક આવેલ શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીને પણ દેશને અર્પણ કરી હતી. આઝાદી કાળથી અત્યાર સુધીમાં સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી ઐતિહાસિક સ્મારક સમાન શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી જર્જરિત બનવા સાથે ઝાડી ઝાંખરા ઉગી નીકળવાની સાથે ચામાચીડિયાનું આશ્રયસ્થાન બન્યું છે. ભારતને આઝાદી મળ્યાના 78 વર્ષ બાદ પણ અખંડ ભારતના નિર્માણ માટે પોતાના રજવાડાની સંપત્તિ દેશને સમપર્ણ કરનારા રાજવીની સ્મૃતિ સમાન ઐતિહાસિક સ્મારકની સરકારી તંત્રવાહકોએ જ ઘોર ખોદી નાખી છે. હાલમાં પણ 106 વર્ષ જૂની ઐતિહાસિક સ્મારક ગણી શકાય તેવી શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનો યોગ્ય જાળવણી થાય તે ખુબ જ જરૂરી છે. 19મી જૂન 1919માં શિલાન્યાસ કરવામાં આવેલપોતાની રૈયતની આરોગ્ય સુખાકારી માટે ત્રાપજ ગામ નજીક રાજવી કૃષ્ણકુમારસિંહજીએ કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનું નિર્માણ કરાવ્યું હતું. 19મી જૂન 1919માં પાલોનપુરના નવાબ સાહેબ એચ.એચ. દેવવાન મહાખાન ઝુબ-તુલ-મુલ્ક કપ્તાન તાલે મહોમદ ખાંજી સાહેબ બહાદુરની વિનંતીથી સર ભીલસિંહજી સી.એસ.આઈ. ભાયનાકરના મહારાજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હોવાનો શિલાલેખ આજે પણ મોજુદ છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:53 am

ફાળવણી:ભાવનગર ગ્રીનગતિ નામે 17 રૂટ પર ઇલેક્ટ્રિક બસ દોડશે

ભાવનગર કોર્પોરેશનને પી એમ ઈ બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રીક બસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાવનગર ગ્રીન ગતિ લિમિટેડ (BGGL) નામ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી સાધારણ સભામાં 17 રૂટ અને તેમાં જરૂરી ફેરફાર માટે કમિશનરને અધિકૃત પણ કરવામાં આવશે. કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ આગામી દિવસોમાં ભાવનગર શહેરમાં જુદા જુદા 17 રૂટ પર ઇલેટ્રીક બસની સુવિધા શરૂ થવામાં છે જેનું નામ પણ આજે ભાવનગર ગ્રીન ગતી લિમિટેડ નક્કી કરવામાં આવ્યું હતું. તદુપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓમાં કોઈપણ વિદ્યાર્થીનું આકસ્મિક કે કુદરતી અવસાન થાય તો તેને 20,000 લેખે સહાય આપવામાં આવે છે. જ્યારે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આર્થિક સહાયમાં ડબલ વધારો કરી 40,000 ની સહાય આપવા નિર્ણય કર્યો હતો. જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટ અને પંપીંગ સ્ટેશન ખાતે મિકેનિકલ મેઈન્ટેનન્સના વાર્ષિક ભાવો ગત માર્ચ 2025 માં પૂર્ણ થઈ ગયા છે. ટેન્ડર પ્રક્રિયામાં બીજા પ્રયત્ને પણ બે એજન્સી પૈકી એક ડીસ્કોલીફાઈડ થઈ. જેથી હવે જ્યાં સુધી નવું ટેન્ડર મંજૂર ન થાય ત્યાં સુધી બંને એજન્સીઓને વાર્ષિક ભાવ પ્રમાણે કામ આપવા નિર્ણય કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી સરકાર દ્વારા જાહેર કરેલ 21 અને 24 ઓક્ટોબરની રજા કોર્પોરેશનમાં પણ જાહેર કરવા તેમજ ગત ઓગસ્ટ 2023 માં સાધારણ સભામાં વર્ગ 1 અને 2 ના અધિકારી કર્મચારી માટે ભરતી બઢતીના મંજૂર થયેલા લાયકાતના સ્નાતકથી ઓછી નહીંના નિયમ રિવર્સ કરી સાધારણ સભાની મંજૂરી અર્થે મોકલવાનો નિર્ણય કર્યો હતો. ચેરમેન રાજુભાઈ રાબડીયા દ્વારા મંજૂર થયેલા રોડના કામ ગુણવત્તા સાથે ઝડપથી કરવા માટે તંત્રને સુચના આપી હતી. જ્યારે આખલોલ જકાતનાકા પાસે 30,000 સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે રૂ.14.83 કરોડના ખર્ચે નાઈટ શેલ્ટર બનાવવાના કામને મંજુર કરવામાં આવ્યું હતું. જોકે સભ્યો દ્વારા આટલી મોટી રકમનો ખર્ચ કરી નાઈટ શેલ્ટર બનાવવાની આવશ્યકતા સામે પ્રશ્ન ઉઠાવ્યા હતાં. તેમજ 52.94 કરોડના ખર્ચે 39 વિકાસ કામો મંજુર કર્યા હતાં. જોકે તેમાં 35 કામો તો 31.18 કરોડ રોડના કામ હતાં.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:52 am

તપાસનો ધમધમાટ:કચ્છ યુનિ.માં પરીક્ષા વિવાદને લઈને તપાસનો ધમધમાટ

કચ્છ યુનિવર્સિટીમાં બીબીએ અને એમબીએ ઇન્ટીગ્રેટેડની પરીક્ષાને લઈને ચાલી રહેલા સમગ્ર મામલામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.બીજા દિવસે પણ આ કમિટી દ્વારા નિવેદનો લઈને તપાસ ચાલુ રાખવામાં આવી હતી. 16 તારીખે બોર્ડ મીટીંગ બોલાવાઇ છે જેમાં આખરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓ બીબીએનું પેપર સવારે આપતા તે જ પેપર સાંજે એમબીએ ઇન્ટીગ્રેટેડમાં પૂછવામાં આવતું હતું.પરીક્ષા જેવા મામલામાં ગંભીર બેદરકારી થઈ છે ત્યારે બેદરકારી કોની અને ક્યાં ક્ષતિ રહી ગઈ તે બાબતે કમિટી દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:52 am

વેરાશાખ અંગે નિયમ બદલાયા:GSTમાં ત્રણ વર્ષની સમાપ્તી પછી રિટર્ન ફાઇલ કરવા હવે નહીં મળે

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ GSTR-7 રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ અપડેટની જાહેરાત કરી છે, જેમાં સપ્ટેમ્બર 2025ના કર સમયગાળાથી GST પોર્ટલ પર ઇન્વોઇસ વાઇઝ રિપોર્ટિંગ કાર્યરત કરવામાં આવ્યું છે. આ અપડેટનો હેતુ GST શાસન હેઠળ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)ની કપાત અને જમા કરવામાં પારદર્શિતા અને ચોકસાઈ વધારવાનો છે. તાજેતરના એડવાઇઝરીમાં, GSTN એ કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટેની વૈધાનિક સમય મર્યાદાની પણ યાદ અપાવી છે, જેમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2022માં પૂરા થતા કર સમયગાળા માટે કોઈપણ રિટર્ન ત્રણ વર્ષની સમાપ્તિ પછી ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ, ફાઇનાન્સ એક્ટમાં રજૂ કરાયેલા સુધારાઓ અનુસાર, ઓક્ટોબર 2025ના કર સમયગાળાથી GST પોર્ટલ પર લાગુ કરવામાં આવશે. તેથી, કરદાતાઓને અનુપાલન સમસ્યાઓ ટાળવા માટે સમયમર્યાદા પહેલાં કોઈપણ બાકી રિટર્ન ફાઇલ કરવા વિનંતી કરવામાં આવે છે. વધુમાં, ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ (IMS)માં આગામી ફેરફારોની રૂપરેખા આપે છે, જે ઓક્ટોબર 2025ના કર સમયગાળાથી લાઇવ થશે. અપડેટ્સનો હેતુ ઇન્વોઇસ-સ્તરના ડેટાના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો અને સપ્લાયર્સ અને પ્રાપ્તકર્તાઓ વચ્ચે રિપોર્ટિંગમાં સુસંગતતા સુધારવાનો છે. સુધારેલા IMS હેઠળ, સિસ્ટમમાં ચોક્કસ રેકોર્ડને પેન્ડિંગ તરીકે ચિહ્નિત કરી શકાય છે. આમાં ક્રેડિટ નોટ્સ, ક્રેડિટ નોટ્સના ઉપરના સુધારા અને ક્રેડિટ નોટ્સના નીચે તરફના સુધારાનો સમાવેશ થાય છે જ્યાં મૂળ નોંધ નકારી કાઢવામાં આવી હતી. ઇન્વોઇસ અથવા ડેબિટ નોટ્સના નીચે તરફના સુધારાને પણ મંજૂરી છે, પરંતુ ફક્ત એવા કિસ્સાઓમાં જ્યાં મૂળ દસ્તાવેજ પહેલાથી જ સ્વીકારવામાં આવ્યો હોય અને સંબંધિત GSTR-3B રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોય. તેવી જ રીતે, ઇકો-ડોક્યુમેન્ટ નીચે તરફના સુધારાને સમાન શરતો હેઠળ મંજૂરી આપવામાં આવશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) સંબંધિત મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ પ્રદાન કરે છે. કર સલાહકાર જણાવે છે કે, જો પ્રાપ્તકર્તાએ સંબંધિત ઇન્વોઇસ અથવા દસ્તાવેજ પર વેરાશાખનો લાભ લીધો નથી, તો વેરાશાખ રિવર્સ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. આ પગલાથી કરદાતાઓને રાહત મળશે અને વેરાશાખ સમાધાનની આસપાસ મૂંઝવણ ઓછી થશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:52 am

બાળ સ્વાસ્થ્ય વિશે સેમિનાર:કચ્છમાં દાયકામાં માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, છતાં માતૃત્વ પર ધ્યાન આપવું જરૂરી

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યનું મહત્વ ઉપરાંત માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા અંગે આયોજિત સેમિનારમાં સ્ત્રીરોગ નિષ્ણાતોએ કહ્યું કે, કચ્છમાં અંતિમ એક દાયકામાં માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમ છતાં અત્યારે વધુ ધ્યાન માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય ઉપર આપવું જરૂરી છે. રાજ્ય સરકાર પ્રેરિત આ કાર્યક્રમાં કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે માતા મૃત્યુ દર ઘટાડા અંગે જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની સરાહના કરી હતી. સ્ત્રીરોગ વિભાગના હેડ ડો. પ્રફુલ્લા કોટકે પ્રસૂતિ પછી માતા મૃત્યુનું મુખ્ય કારણ ગણાતા પોસ્ટ પાર્ટમ હેમરેજ અંગે વિગતે સમજાવી તેના કારણ, નિવારણ તેમજ સારવાર અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. ડો.એન.એન. ભાદરકાએ કહ્યું કે, આધુનિક સારવાર પધ્ધતિને કારણે છેલ્લા દાયકામાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડો.ગોપાલ હિરાણીએ ગર્ભાવસ્થા દરમિયાન માતાની ઉત્તમ સારવાર અંગે મેડિકલ વિધાર્થીઓને ટીપ્સ આપી હતી. ડો.ચાર્મી પાવાણીએ માતાને સુરક્ષિત રાખવા વૈદ્યકીય પરીક્ષણ તેમજ ગ્રામ વિસ્તારમાંથી માતાને ઊચ્ચ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા કરવા અને તેના જરૂરી માપદંડ ઉપર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડો.ખુશ્બુ પટવા, ઇન્ટર્ન્સ તબીબો અને મેડિકલ કોલેજના એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાના ડોક્ટરોએ ઑનલાઇન હાજરી પણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:51 am

કાર્યવાહી:ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગ દ્વારા જિલ્લામાંથી 159 નમૂના લેવાયા

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ વિભાગ) દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને નાગરિકોને શુદ્ધ મીઠાઈ સહિતની વસ્તુઓ મળી રહે તે હેતુથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા મીઠાઈ ફરસાણ, ખાદ્ય તેલ, ઘી, પનીર, બટર, દૂધ અને દૂધની બનાવટો, ડ્રાયફ્રુટ્સ, માવો, ચોકલેટ, બેકરી પ્રોડક્ટ્સ જેવી વિવિધ ખાદ્ય વસ્તુઓના કુલ 159 નમૂના લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 39 ફોર્મલ (કાયદેસર) અને 120 સર્વેલન્સ (તપાસણી) માટેના નમૂનાઓનો સમાવેશ થાય છે. આ નમૂનાઓને ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. જેના પરિણામોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારોને અનુલક્ષીને આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે આ સઘન કામગીરી ચાલુ રાખવામાં આવશે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓ ભેળસેળ કે અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન કરે અને ગ્રાહકોના સ્વાસ્થ્યનું જતન થાય તે જોવાનું છે. છેલ્લા 15 દિવસથી તંત્ર દ્વારા વિવિધ ટીમ બનાવીને તાલુકા મથકેથી વિવિધ વસ્તુઓના નમુના મેળવવામાં આવી રહ્યા છે. ફૂડ અધિક્ષક અમિત પટેલની આગેવાની ફૂડ ઇન્સ્પેકટરો દ્વારા કામગીરી થઇ રહી છે. હજુ પણ દિવસી સુધી આ કાર્યવહી યથાવત રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. ઉલેખનીય છે કે દિવાળીના તહેવાર સમયે સૌથી વધુ માંગ મીઠાઈ અને ફરસાણની રહે છે. ત્યારે તંત્ર દ્વારા મીઠાઈ, ફરસાણ, તેલ, ઘી, પનીર, બટર, અને દૂધની બનાવટોની મીઠાઈના નમુના લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:50 am

માંગણી:હા.બોર્ડ જમીનના નીચા ભાવ હોય ત્યાં પણ રિ-ડેવલપમેન્ટ કરે : બુધેલીયા

આનંદનગરમાં હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયા મકાનની બનેલી દુર્ઘટના બાદ હાઉસીંગ બોર્ડની જર્જરીત વસાહતમાં રહેતા અને લોકો ચિંતાગ્રસ્ત બની ગયા છે. દરમિયાનમાં કોંગ્રેસના અગ્રણી અને આ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયાએ આ જર્જરીત મકાનો અંગે છેલ્લા કેટલાય વર્ષોથી સતત રજુઆતો કરતા હોવાનુ જણાવી હજી પણ હાઉસીંગ બોર્ડ પગલા નહી ભરે તો ભારે મોટી દુર્ઘટનાની ભીતિ દર્શાવી છે. અને તાકીદે રિ-ડેવલપમેન્ટની યોજના અમલી બનાવવા માંગણી કરી છે. આનંદનગરમાં ત્રણ માળનું જર્જરીત મીલકત ધરાશાયી થઈ તેમાં તળાજાના સરતાનપર બંદરના 19 વર્ષના કરણ સવજીભાઈ બારૈયા નામના યુવાનનું કરૂણ મોત નિપજેલ છે. આ ઘટના બા આનંદનગર, ભરતનગર, વિઠ્ઠલવાડી, કુંભારવાડા, સહિતની હાઉસીંગ બોર્ડની વસાહતમાં જર્જરીત મકાનમાં રહેતા લોકો ચિંતાગ્રસ્ત બન્યા છે. ભરતભાઈ બુધેલીયાએ જણાવ્યુ હતુ કે, તેઓ સતત આ માટે લડત આપી રહ્યા છે અને તમામ લોકોને લેખીત રજુઆત પણ કરેલી છે. હાઉસીંગ બોર્ડની રિ-ડેવલપમેન્ટ યોજનામાં જ્યાં જમીનના ભાવ ઉંચા હોય ત્યાં કોન્ટ્રાકટરો ટેન્ડર ભરે છે અને બોર્ડને પણ આવક થતી હોવાથી એ યોજના સાકાર થાય છે. પણ જ્યાં જમીનના ભાવ નથી મળતા ત્યાં પૈસા ખર્ચીને પણ હાઉસીંગ બોર્ડ દ્વારા ક્રમશ: રિ-ડેવલપમેન્ટ યોજના અમલી બનાવવી જોઈએ આ બોર્ડની જવાબદારી છે અને આ યોજના અમલી નહી બને તો ભવિષ્યમાં થનાર તમામ દુર્ઘટનાની જવાબદારી બોર્ડ અને સરકારની રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:49 am

નિર્ણય:ભાટ ફાયર સ્ટેશન બિલ્ડિંગમાં વધારાના 1.59 કરોડના કામોને મંજૂરી

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભાટ ખાતે બની રહેલા ફાયર બ્રિગેડ બિલ્ડીંગમાં વધારાના 1.59 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બિલ્ડીંગના નિર્માણનું કામ પુર્ણ કરવા માટે એજન્સીને ત્રણ મહિનાનો સમય વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જેથી આ બિલ્ડીંગ નવેમ્બરના અંત સુધીમાં તૈયાર થવાની શક્યતા છે. ગાંધીનગર મહાપાલિકામાં નવા 18 ગામો અને પેથાપુર નગરપાલિકાનો સમાવેશ થયા પછી વિસ્તાર વધતાં આગ અકસ્માતની ઘટના સમયે તાત્કાલિક કામગીરી થઇ શકે તે માટે નવા વિસ્તારમાં ફાયર બ્રિગેડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ભાટ અને સરગાસણની સાથે રાંધેજા પાસે પણ ફાયર બ્રિગેડ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને આ માટે એજન્સીઓ પણ નિયત કરવામાં આવી હતી. સરગાસણ ખાતેનું ફાયર બ્રિગેડ સ્ટાફ ક્વાર્ટર સાથે તૈયાર થઈ ગયું છે. બીજીતરફ ભાટ ખાતે ફાયર બ્રિગેડ બિલ્ડીંગ અને સ્ટાફ ક્વાર્ટરનું કામ ચાલી રહ્યું છે. સ્થળ પસંદગીમાં શરૂઆતના તબક્કે વિલંબ થયો હોવાથી કામ મોડું શરૂ થયું હતું. જેથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ એજન્સીને વધુ ત્રણ મહિનાની મુદત વધારી આપવા આપવામાં આવી છે. આ ઉપરાંત વધારાના કામો માટે રૂ. 1.59 કરોડ રૂપિયાનો જથ્થા વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. વિસ્તાર વધતાં આગ અકસ્માતની ઘટના સમયે તાત્કાલિક કામગીરી થઇ શકે તે માટે નવા વિસ્તારમાં ફાયર બ્રિગેડ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:49 am

લાલબત્તી સમાન ઘટના:ધો.10ના વિદ્યાર્થીઓની મારામારીનો વીડિયો વાઇરલ, પોલીસે વાલીઓ પાસે માફી મગાવી

અકોટા ડિ-માર્ટ નજીક જાહેરમાં વિદ્યાર્થીઓ મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે અકોટા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી ઘટના અંગે માહિતગાર કર્યા હતા. વાલીઓએ પોલીસની માફી માગી હતી અને આગળ તેમના સંતાન તે પ્રકારની પ્રવૃતિ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં અકોટ ડિ-માર્ટ સામે એક સ્કુલ નજીક જાહેરમાં કેટલાક વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા હતા. વીડિયોના આધારે અકોટા પોલીસે વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓના વાલીઓને વીડિયો બતાવ્યો હતો. વાલીઓએ પોલીસની માફી માગી હતી. ભવિષ્યમાં તેમના સંતાન ફરીવાર આ પ્રકારની પ્રવૃતિ ન કરે તેની બાંહેધરી આપી હતી. અકોટા પોલીસે વાલીઓને વીડિયો પણ બનાવ્યો હતો. વાલીઓ જેમાં કહી રહ્યા છે કે, વીડિયો વાયરલ થયો છે તેમાં મારો પુત્ર છે. હું તેના વતી માફી માગું છું. તે હવે આગળ આવી ભુલ નહીં કરે. અકોટા પોલીસે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ 10માં ધોરણના હતા. મસ્તી-મસ્તી કરતા તેઓ અંદરો-અંદર મારામારી કરવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ માફી માગી હતી અને આગળ સંતાન કોઈ ભુલ નહીં કરે તેની બાંહેધરી આપી હતી. વીડિયોમાં વિદ્યાર્થી વાહન લઇને આવ્યો હોવાનું જણાયું, લાઇસન્સ વિનાનું હોવાથી ડિટેઇન ન કર્યુંપોલીસે વાયરલ વીડિયોની તપાસ કરતાં એક વિદ્યાર્થી મોપેડ લઈને આવ્યો હોવાનું જણાયું હતું. પોલીસે તે વાહનો ડિટેઇન કર્યા હતા. જોકે તેમાં એક ઈલેક્ટ્રીક વાહન પણ દેખાતું હતું. તે વગર લાઇસન્સે ચલાવી શકાતું હોવાનું જણાતા તેને ડિટેઇન કરાયું નહોતું.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:49 am

મુસાફરો સાથે લુંટ કરતી ગેંગ સક્રિય:પેથાપુર જતા સિક્યુરિટી ગાર્ડને રિક્ષામાં બેસાડી રૂપિયા લૂંટી લીધા

પાટનગરમાં રીક્ષામાં બેસાડી મુસાફરો સાથે લુંટ કરતી ગેંગ સક્રિય બની ગઇ છે. અવાર નવાર મુસાફરોના સામાનની લુંટ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધી ગેંગ અડાલજ તરફ ફરતી હતી, પરંતુ હવે તો શહેર વિસ્તારમાં આવી ગઇ છે. સેક્ટર 16માં ગાર્ડ તરીકે નોકરી કરતો યુવક ઘ-4 પાસેથી પેથાપુર જવા રીક્ષામાં બેઠો હતો, તે સમયે રીક્ષામાં બેઠા બાદ સંકળાશ પડી રહી છે, તેમ કહીને યુવકને ઘ-5 પાસે ઉતારી દીધો હતો, ત્યારબાદ ખિસ્સામાં હાથ નાખતા તેના 20 હજાર સહિત ડોક્યુમેન્ટ ગાયબ થઇ ગયા હતા. જેથી સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. મળતી માહિતી મુજબ મૂળ મહુડી ગામના અને હાલમાં પેથાપુરની લાભ રેસીડેન્સીમાં રહેતા સુરજસિંહ દલપતસિંહ રાઠોડ એક બેંકમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ત્યારે એક પખવાડીયા પહેલા વતનમાં માતાજીના નૈવેધ કરવા જવાનુ હોવાથી બેંકમાંથી નિકળી ઘ-4 પાસે આવ્યા હતા અને રીક્ષાની રાહ જોતા એક રીક્ષા આવ્યા બાદ તેમાં બેસી ગયા હતા. જેમાં ડ્રાઇવર પાસે બે, જ્યારે પાછળની સીટમાં 3 લોકો બેઠા હતા. ચાલકે રીક્ષા રોકી ગાર્ડને પાછળ બેસવાનુ કહેતા બેસી ગયો હતો અને બાદમાં પાછળ બેઠેલા પેસેન્જરે સીધા બેસવાનુ કહી સંકળાશ પડવાની વાત કરતા બે ત્રણ વખત ગાર્ડને ઉભો કરવામાં આવ્યા બાદ ઘ-5 પાસે ઉતારી દીધો હતો. ત્યારબાદ ગાર્ડ સાથે શુ કરવામાં આવ્યુ તેની તેને ખબર જ નથી, જ્યારે બીજી રીક્ષામાં બેસી પેથાપુર પહોંચતા પાછળના ખિસ્સામાં હાથ નાખતા પર્સ ગાયબ જોવા મળ્યુ હતુ. જેથી તેમાં રહેલા 20 હજાર રોકડા અને ડોક્યુમેન્ટની ચોરી કરી હોવાનુ માલુમ થતા સેક્ટર 21 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાટનગરમાં રીક્ષામાં બેસાડી મુસાફરો સાથે લુંટ કરતી ગેંગ સક્રિય બની ગઇ છે. અવાર નવાર મુસાફરોના સામાનની લુંટ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધી ગેંગ અડાલજ તરફ ફરતી હતી, પરંતુ હવે તો શહેર વિસ્તારમાં આવી ગઇ છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:47 am

સેવાકાર્ય:ઘરવિહોણા 70 પરિવારને મહાપાલિકા દ્વારા પોષણ કિટનું વિતરણ કરાયું

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના ઘરવિહોણા અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેક્ટર-૨૮ ખાતે આવેલા શેલ્ટર હોમમાં ૭૦ જેટલા લોકોને પૌષ્ટિક આહાર સમાવતી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મેયરશ્રી સહિત સૌ પદાધિકારીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ત્યાં વસતા લોકોને વધુ સ્વચ્છતા જાળવવા અનુરોધ પણ કર્યો હતો. આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વંચિત વર્ગને પોષણયુક્ત આહાર પૂરો પાડી તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાનો હતો. આ કાર્યક્રમમાં શહેરના મેયર મીરાબેન પટેલના હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસકપક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર, સેનિટેશન કમિટીના ચેરમેન અંકિતભાઈ બારોટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે. એમ. ભોરણિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, “ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિકની સુખાકારી માટે કટિબદ્ધ છે. ઘરવિહોણા લોકોને મદદ કરવી એ આપણી સામાજિક જવાબદારી છે અને આ પોષણ કીટ વિતરણ એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોને વેગ આપવામાં આવશે.”

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:47 am

ફરિયાદ:રૂપાલ ગામની સીમમાં એક સાથે બે બોરકૂવા પરથી કેબલ વાયર કપાયા

ગાંધીનગરના રૂપાલ ગામની સીમમાં આવેલા બોરકુવા ઉપરથી કેબલ વાયરની ચોરી થવા પામી છે. એક સાથે અલગ અલગ બે બોરકુવા ઉપરથી કેબલ વાયર કપાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જ્યારે આ બાબતે પેથાપુર પોલીસ મથકમાં 72 હજારના કિંમતના કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રૂપાલ ગામના મોટા માઢ વિસ્તારમાં રહેતા અશોકભાઇ શંકરલાલ પટેલ ખેતી કરી ગુજરાન ચલાવી રહ્યા છે, જ્યારે ભાગીદારીમાં તેમનો ગામની સીમમાં સરઢવ તરફ જતા રોડ ઉપર એક બોરકુવો આવેલો છે. ત્યારે ગત આજે મંગળવારે સવારના સમયે તેમના ભાગીદાર આનંદભાઇએ ફોન કરીને માહિતી આપી હતી કે, સવારના સમયે બોરકુવા ઉપર ગયો હતો, તે સમયે ઓરડીનુ લોક તુટેલુ હતુ, જ્યારે કેબલ કપાયેલો હતો. જેથી તપાસ કરતા પેનલ સ્ટાર્ટરથી લઇ બોરકુવા સુધી આશરે 130 ફૂટ લાંબો કેબલ કિંમત 48 હજારનો કપાઇ ગયો હતો. આ બાબતે આસપાસમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઇ માહિતી મળી ન હતી. પરંતુ નજીકમાં આવેલા રમેશભાઇ જોઇતાભાઇ પટેલના બોરકુવા ઉપરથી પણ 70 ફૂટ લાંબો કેબલ કપાઇ ગયો હોવાની વાત જાણવા મળી હતી. જેથી બંને જણાએ પેથાપુર પોલીસ મથકમાં 48 હજાર અને 24 હજાર મળી કુલ 72 હજારના કેબલ ચોરીની પેથાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:46 am

દરોડો‎:સરગાસણમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું

ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં આવેલા ગોલ્ડન લીવ્સ વેલનેસ સ્પા એન્ડ સલુનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે પોતાના કર્મચારીઓને ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા અને સ્પામાં ગયા પછી મસાજ બાદ શરીર સબંધ બાંધવાની વાત કરી હતી. જેથી સ્પામાં રહેલી યુવતી તૈયાર થઇ જતા પોલીસે ખેલ પાડી દીધો હતો અને સ્પા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ન્યૂ ગાંધીનગર સહિત જિલ્લામાં બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટર ખુલી ગયા છે. જેમાં મસાજના નામે દેહવ્યાપાર ધમધમતો હોય છે. આ સ્થિતિમાં પોલીસને માહિતી મળી હતી કે, સરગાસણમાં આવેલા ગોલ્ડન લીવ્સ વેલનેસ સ્પા એન્ડ સલુનમાં દેહવ્યાપાર ધમધમી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા દહેવ્યાપાર પકડવા માટે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા તેમના કર્મચારીને ડમી ગ્રાહક બનાવવામાં આવ્યો હતો અને મસાજ પાર્લરમાં મોકલવામાં આવ્યો હતો. કર્મચારી ગ્રાહક બનીને ગયા બાદ મસાજ અને બાદમાં શરીર સબંધ બનાવવાની વાત કરી હતી. જેમાં સ્પા સેન્ટરમાં રહેલી યુવતી શરીર સબંધ બનાવવા માટે તૈયાર થઇ જઇ હતી. જેથી બહાર ઉભી રહેલી પોલીસને ડમી ગ્રાહક બનેલા પોલીસ કર્મીએ અંદર ઇશારો કરી બોલાવી લીધા હતા. બાદમાં સ્પા સેન્ટરના મેનેજર ગોપાલસિંહ પવાર (રહે, વિરભગતની ચાલી, ભાર્ગવ રોડ, મેઘાણીનગર, અમદાવાદ) અને સંગીતા મગનલાલ ધાણક (રહે, સ્વાગત એફોર્ડ, સરગાસણ)ને પકડી તેમની સામે દેહવ્યાપાર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ગાંધીનગરનો જેમ જેમ વિસ્તાર થઇ રહ્યો છે તેમ તેમ બદીઓ પણ વધી રહી છે. નવા ગાંધીનગરમાં પણ બીલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે. ત્યારે તેમાં પણ ગોરખધંંધા ચાલી રહ્યા છે. ત્યારે ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં આવેલા ગોલ્ડન લીવ્સ વેલનેસ સ્પા એન્ડ સલુનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે પોતાના કર્મચારીઓને ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા અને સ્પામાં ગયા પછી મસાજ બાદ શરીર સબંધ બાંધવાની વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:46 am

પાણી ડહોળું આવતાં રોગચાળાનો ભય:સેક્ટર-1થી 9માં સતત પાણીની સમસ્યાથી પરેશાન

છેલ્લા એકાદ સપ્તાહથી સેક્ટર-1થી 9માં પીવાના પાણીનો ફોર્સ ધીમો આવી રહ્યો છે. તેની સાથે સાથે પાણી પણ ડહોળું આવી રહ્યું હોવાથી દિપાવલી પર્વોમાં સેક્ટરોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી ચિંતા સ્થાનિક લોકોને સતાવી રહી છે. ત્યારે સેક્ટરવાસીઓને પીવાનું પાણી શુદ્ધ અને ફોર્સથી મળે તે માટે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરાશે. સેક્ટર-1થી 9માં છેલ્લા એકાદ સપ્તાહથી પાણીનો સપ્લાય એકદમ ધીમા ફોર્સથી અને ડહોળું મળી રહ્યો છે. પાણીનો પૂરતો સપ્લાય નહી મળવાથી સેક્ટરવાસીઓને ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી હોવાની રજૂઆત સ્થાનિક લોકોએ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાને કરી છે. જ્યારે બીજી તરફ સેક્ટરવાસીઓ દ્વારા આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવા છતાં માળખાકિય અને જરૂરીયાત તેવા પાણીનો સપ્લાય પૂરતા ફોર્સથી આપવામાં આવતો નથી. ઉપરાંત પાણી પણ ગંદુ આવતા આગામી દિપાવલી અને નવા વર્ષમાં નવા સેક્ટરવાસીઓ રોગચાળામાં પટકાય તેવી દહેશત લોકોમાં ઉઠી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી સેક્ટર-1થી 9માં પીવાના પાણીનો ફોર્સ ધીમો આવી રહ્યો છે. તેની સાથે સાથે પાણી પણ ડહોળું આવી રહ્યું હોવાથી દિપાવલી પર્વોમાં સેક્ટરોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી ચિંતા લોકોને છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:45 am

આરોપીઓને જેલભેગા કરાયા:ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પાસે જ જુગાર રમાડતા હુસૈન અને અફઝલની પોલીસ મથક પર હુમલામાં સંડોવણી

ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ નજીક જ રાજા-રાણી તળાવ પાસે ચાલતા જુગારના ધામને સ્ટેટ મોનિટરિંગ સેેલે પકડી પાડ્યું હતું. આ જુગારના અડ્ડાના સંચાલક ભાઈઓ પાણીગેટ પોલીસ મથક ઉપર હુમલો કરી વાયરલેસ સેટની તોડફોડ સહિત અનેક ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી સ્થળ પરથી 12ને ઝડપી પાડ્યા હતા.જ્યારે અડ્ડાના સંચાલકો સહિત 21 ભાગી છૂટ્યા હતા. અજબડી મીલ રાજા-રાણી તળાવ પાસે ખુલ્લામાં હુસૈન ઉસ્માનખાન પઠાણ અને અફજલ ઉર્ફે અન્નુ ઉસ્માનખાન પઠાણ ભાગીદારીમાં બહારથી લોકોને બોલાવી પત્તા-પાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમે છે અને રમાડે છે. એવી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. SMC ની ટીમ સોમવારે રાત્રે પાણા એક વાગે સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી 12 જણાને પકડી પાડ્યા હતા. જુગાર અડ્ડાના સંચાલકો, સહિત 21 લોકો વાહનો મુકીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરતા તમામને જેલ ભેગા કરવાનો હુકમ કરાયો હતો. હુસૈન ઉસ્માનખાન પઠાણ સામે નોંધાયેલા ગુનાજુગારના અડ્ડાનો મુખ્ય સંચાલક હુસૈન ઉસ્માનખાન પઠાણ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે.જે ફરાર છે.એની સામે અત્યાર સુધી ગંભીર પ્રકારના ગુના સહિત 12 ગુના નોંધાયેલા છે.જેમાં પાણીગેટ પોલીસ મથકે હુમલો અને તોડફોડ પણ સામેલ છે. મકરપુરા પોલીસ મથકે મળી કુલ 11 ગુના અને એક વાર પાસા મળી કુલ 12 ગુના નોંધાયા છે. અફઝલ ઉર્ફે અન્નુ પઠાણ સામે નોંધાયેલા ગુનાજુગાર ધામમાં ભાગીદાર અફઝલ ઉર્ફે અન્નુ ઉસ્માનખાન પઠાણ હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું છે. અન્નુ સામે 19 ગુના નોંધાયેલા છે.જેમાં દારૂ જુગાર ઉપરાંત હુમલા, મારામારીના ગુના સામેલ છે.જેમાં પાણીગેટ પોલીસ મથકે 7 ગુના, સિટી પોલીસ મથકે 8 ગુના , ક્રાઈમ બ્રાન્ચના 2 ગુના અને રેલવે પોલીસ મથકે પણ ગંભીર પ્રકારના ગુના સામેલ છે. ભાગી છૂટેલા અને વોન્ટેડ આરોપી

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:43 am

સિટી એન્કર:મેટ્રોમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યા દૈનિક સરેરાશ 35 હજારથી વધી 1.5 લાખ સુધી પહોંચી

શહેરમાં મેટ્રો શરૂ થઈ ત્યારથી તેમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મેટ્રોમાં મુસાફરી કરતા દૈનિક પેસેન્જરોની સંખ્યા શરૂઆતમાં 35 હજારથી શરૂ થઈ હતી જે આજે દૈનિક 1.5 લાખ સુધી પહોંચી ગઈ છે, જેમાં સપ્ટેમ્બર મહિનામાં મેટ્રોમાં અત્યાર સુધીના સૌથી વધુ 44.83 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી છે, જેમાં સૌથી વધુ પેસેન્જરોની સંખ્યા ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી નોંધાઈ રહી છે. જ્યારે અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ 10.38 કરોડ પેસેન્જરોએ મુસાફરી કરી છે. તેની સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સંચાલિત મેટ્રો રેલ સમયપાલનમાં 99.84 ટકા સફળ રહી છે. શહેરમાં પ્રથમ મેટ્રો માર્ચ 2019માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમી રૂટ પર શરૂ થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2022માં 32 કિમી રૂટનું લોકાર્પણ થતા મેટ્રોનું સંચાલન ઈસ્ટ વેસ્ટ કોરિડોરની સાથે નોર્થ સાઉથ કોરિડોરમાં પણ શરૂ કરાયું હતું. જ્યારે મેટ્રોના બીજા ફેઝમાં મોટેરાથી મહાત્મા મંદિર રૂટ પર પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. જેમાં સચિવાલય સુધીનો રૂટ લોકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. જ્યારે નવા વર્ષની શરૂઆતમાં મેટ્રોનું સંચાલન મહાત્મા મંદિર સુધી શરૂ કરી દેવાતા શહેરમાં મેટ્રો 68 કિલોમીટર રૂટ પર 54 સ્ટેશન સાથે દોડતી થઈ જશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:43 am

ઔડાના પ્લોટના નિયમોમાં ફેરફાર:શહેરની ફરતે આવેલા વિસ્તારોમાં અદ્યતન સુવિધા માટે નવી ટીપી લવાશે, હવે પાંચ વર્ષ માટે ભાડેથી અપાશે

વિવેકસિંહ રાજપૂત ઔડાની શુક્રવારે યોજાનારી બોર્ડ બેઠકમાં ભાડેથી અપાતા પ્લોટના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. અત્યાર સુધી ઔડાના જે પ્લોટ ભાડેથી આપવામાં આવે છે તે માત્ર એક વર્ષ માટે અપાય છે. નિયમમાં સુધારો કરીને હવે પાંચ વર્ષ સુધી પ્લોટ ભાડે આપી શકાશે. એક વર્ષ માટે ભાડેથી પ્લોટ આપવાના કારણે દર વર્ષે કચેરી ખાતે આવીને તેઓને ભાડા કરાર રિન્યૂ કરાવવાની ફરજ પડતી હતી. કેટલાક કિસ્સામાં એવું પણ બનતું હતું કે એક વર્ષનો સમયગાળો પુરો થવા છતા રિન્યૂ કરાવાવનું લોકો ભૂલી જતા હતા. તેના કારણે ઔડાને ભાડાની રકમ મેળવવા અને નક્કી કરવામાં મુશ્કેલી પડતી હતી. જોકે હવે એકસાથે પાંચ વર્ષ માટે ભાડા કરાર થવાના કારણે લોકોને દર વર્ષે રિન્યૂ કરાવવું નહિ પડે અને ઔડાને પહેલા રેવન્યૂનો જે ઘાટો થતો હતો તે પણ બંધ થઈ જશે. નિયમ બદલવાની રજૂઆત પ્લોટ ભાડાધારકો દ્વારા જ લાંબા સમયથી કરવામા આવતી હતી જેને ધ્યાનમાં રાખીને ઔડાએ નિર્ણય લેવાનો નક્કી કર્યો છે. ભાડેથી અપાતા પ્લોટનું ભાડું 30થી 50 લાખ સુધી હોય છે76 કિમીના રિંગ રોડની ફરતે આવેલા હાલમાં ઔડાના અંદાજિત 50 પ્લોટ ભાડેથી આપવામા આવ્યા છે. જેમાં સૌથી વધુ ભાડું થલતેજ અને વૈષ્ણોદેવી સર્કલ આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. ઔડાની ગણતરી પ્રમાણે 50 લાખથી 30 લાખ રૂપિયાના ભાડાપટ્ટે લોકોને પ્લોટ આપવામા આવતા હોય છે. જે વિસ્તારમાં જંત્રીના દર વધારે હોય તે વિસ્તારના પ્લોટમાં વધારે ભાડા લેવાચા હોય છે. સામાન્યપણે અમદાવાદ પૂર્વ પટ્ટાના રીંગરોડ ફરતે સિંગરવા, રામોલ સહિતના વિસ્તારોમાં અપેક્ષાકૃત ભાડું ઓછું જોવા મળે છે. દર વર્ષે રિન્યૂ કરાવવા કરતા એક જ વખત પાંચ વર્ષ માટે રિન્યૂ કરાવવું હોય તો દૂરથી આવનારા લોકોને ધક્કો ખાવાનો પણ વારો ન આવે. ગોધાવી, સિંગરવા, કણેટીમાં ટીપી સ્કીમને મંજૂર કરાશેઔડાના નવા વિકસતા વિસ્તારમાં ટીપી સ્કીમને મંજૂરી આપી રોડ-રસ્તા, ગટર-પાણી સહિતની પાયાની સુવિધાઓ વિકસાવવાની કામગીરી કરાશે, જેમાં ગોધાવીમાં નવી ટીપી સ્કીમ, સિંગરવામાં ઝોનફેર કરવામાં આવશે. જ્યારે કણેટીના અમુક વિસ્તારોમાં પણ ટીપી સ્કીમને મંજૂર કરીને પાયાની સુવિધાઓ વિકસાવાશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:42 am

માતા-પિતા માટે ચિંતાનો વિષય:6થી 10 વર્ષનાં 1054 બાળકને મોબાઇલ પર રીલની લત લાગી, માતાપિતાએ કાઉન્સેલિંગ કરાવવું પડ્યું

અમદાવાદ સહિત રાજ્યમાં 6 થી 18 વર્ષની ઉંમરના 5010 બાળકો મોબાઈલના એટલા એડિક્ટ થઈ ગયા હતા કે તેમના માતા-પિતા માટે એક ચિંતાનો વિષય બની ગયો હતો. બાળકો મોબાઈલમાં ઓનલાઈન કે ઓફલાઈન ગેમ રમતા, રિલ્સ જોવાની ટેવ પડી જાય, સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવું, અજાણ્યા લોકો સાથે વાતો કરવી, સતત પિક્ચર જોયા કરતા હોવાની ટેવ પડી ગઈ હતી. તેમની લત છોડાવવા અને સમજાવવા માટે અભયમની મદદ લેવી પડી છે. આ બાળકો પૈકી 6 થી 10 વર્ષ સુધીના 1054 બાળકો, 10 થી 15 વર્ષની ઉંમરના 3076 બાળકો અને 15 થી 18 વર્ષ સુધીની ઉંમરના 880 બાળકોનો સમાવેશ થાય છે. અભયમની ટીમે આ તમામ કોલમાં બાળકોનું કાઉન્સેલીંગ કરીને સારા ભવિષ્ય માટેની સલાહ, મોબાઈલના વધુ પડતા ઉપયોગથી થતા નુકશાનો તથા શારિરીક નુકશાનો અંગેની માહિતી આપી હતી. સાથે જ માતા-પિતાએ પણ બાળકોને મોબાઈલ આપતા પહેલા વિચારવું જોઈએ. 195 બાળકો 6 કલાકના કાઉન્સેલિંગ પછી પણ ન સમજતાં સાઈકોલોજિસ્ટ પાસે મોકલાયાઅભયમમાં બાળકોને સમજાવવા મળેલા કોલમાંથી 4108 કોલ તો એવા હતા કે, બાળકો પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે અથવા તો મૂકી દેવા માટે કહેવામાં આવે તો માતા-પિતા સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. મરી જવાની ધમકી આપતા, પોતાની જાતને નુકસાન પહોંચાડવા સુધીની હરકતો કરતા હતા. આ કોલ પૈકી 195 તો એવા હતા કે, 6 કલાક સુધી સતત કાઉન્સેલિંગ કર્યા બાદ બાળક સમજતું ન હોવાથી તેને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સાઈકોલોજિસ્ટ પાસે મોકલાયા હતા. આ કારણે મોબાઈલની લત લાગે છે માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:40 am

કરોડોનું કૌભાંડ:નકલી ફર્મ બનાવીને નાણાંની હેરફેર કરતી ટોળકીનો ઠગ પ્રવીણ ઝડપાયો

શહેરના સાયબર ક્રાઈમ વિભાગને એક ફરિયાદની તપાસમાં મોટી સફળતા મળી છે. દિલ્હીથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.પોલીસે એકને ઝડપી 69 મોબાઇલ ફોન, લેપટોપ, ચેક બુક ડેબિટ કાર્ડ સહિત છેતરપિંડી માટે વપરાતી સામગ્રી ઝડપી પાડી છે. પોલીસ આરોપી અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું માની રહી છે. શહેરના વેપારી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગત મહિને ફરિયાદ નોંધાવી હતી.જેમાં સોશિયલ મીડિયા ઉપર શેર બજારમાં રોકાણ અને ફોરેક્ષમાં રોકાણ સામે મોટા નફાની જાહેરાત કરવામાં આવી હતી. જેની ઉપર ક્લિક કરતા ફરિયાદીને વિગતો ભરવાનું કહી રજીસ્ટર કરવા જણાવ્યું હતું. બાદમાં અજાણ્યા નંબર ઉપરથી મેસેજ કરતા અલગ અલગ સમયે 23.35 લાખનું રોકાણ કરવા જુદા જુદા બેંક ખાતાઓમાં ફરિયાદીએ જમા કરાવ્યા હતા. ભેજાબાજોએ બનાવેલી નકલી વેબ સાઈટમાં ફરિયાદી ને અનેક ગણો નફો થયો હોવાનું દર્શાવ્યું હતું. આ છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં ખાતા નંબરના આધારે પોલીસ દિલ્હી પહોંચી હતી.જ્યાં નકલી ફર્મ બનાવી ફ્રોડના 100 કરોડ જેટલા નાણાની હેરાફેરી ઝડપાઈ હતી. પોલીસે દિલ્હીના પ્રવીણકુમાર ખરબંદા ને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી પ્રવીણકુમારને અત્રે લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેતરપિંડીથી બચવા માટે સાઇબર ક્રાઈમ પોલીસના એસીપી એમ.એમ. રાજપૂત દ્વારા ટિપ્સ અપાઈ

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:37 am

વાતાવરણ:સિઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન 20.5 ડિગ્રી

શિયાળાની ઋતુનું આગમન દિપાવલી પર્વો પહેલાં થઇ ગયું હોવાથી સાંજ ઢળતા જ નગરવાસી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે સામાન્ય તાપમાન કરતા મંગળવારે નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1.8 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડીગ્રીના ઘટાડા સાથે મંગળવારે લઘુત્તમ તાપમાન 20.5 ડીગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડીગ્રી નોંધાયું છે. દિપાવલી પર્વોમાં ગરમ વસ્ત્રો પહેરવા પડશે તેવી ઠંડીની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. આગાહી સાચી પડી રહી હોય તેમ સીઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાનનો પારો 20.5 ડીગ્રી નોંધાયો છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં 1 ડીગ્રીના ઘટાડાને પગલે મંગળવારે નગરનું લઘુત્તમ તાપમાન 20.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નહી. પરંતું ગત સોમવાર કરતા મહત્તમ તાપમાન 34 ડીગ્રીથી નીચે આવતા મંગળવારે મહત્તમ તાપમાન 33.8 ડીગ્રી નોંધાયું છે. સવારના ભેજમાં 7 ટકાનો અને સાંજના ભેજમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:35 am

ગુજસિટોક:રતનપુરના કુખ્યાત બૂટલેગર રાકેશ ઉર્ફે લાલાના આખા પરિવાર સામે ગુજસિટોક

વડોદરા જિલ્લા પોલીસ દ્વારા રતનપુર ગામના બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલના સમગ્ર પરિવાર સહિત 5 આરોપીઓને ગુજસીટોક એક્ટ હેઠળ વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા રેન્જના ચાર જીલ્લાઓમાં ગુજસીટોક એક્ટ હેઠળ પહેલી વખત કેસ નોંઘાયો છે. વડોદરા જિલ્લાના એસપી સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાંચ આરોપીઓ વર્ષ-2005થી ગુનાહીત પ્રવૃત્તિઓ ચલાવતા આવ્યાં છે. આ ટોળકી જથ્થાબંધ અને છુટક વિદેશી દારૂનું વેચાણ, હેરાફેરી અને સંગ્રહ કરતું આવ્યું છે. જ્યારે કોઈ દારૂ અંગેની બાતમી પોલીસને આપે તો તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવી, મારમારવો તેની સંપત્તિને નુકશાન કરી મારી નાખવાની ધમકી આપતા હતાં. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ રાકેશ ઉર્ફે લાલા રજનીકાન્ત જયસ્વાલ (રહે-રતનપુર,વડોદરા)31 નોંધાયેલા ગુના - 2 વખત પાસા આચરેલા ગુનાના પ્રકાર ખુનની કોશીષ, ખોટા દસ્તાવેજ બનાવવા, હથીયાર વડે મારામારી, સરકારી નોકર પર જીવલેણ હુમલો, હંગામો, સરકારી સંપત્તિને નુકશાન, પ્રોહિબીશન, દારૂની મહેફિલ માણવાની વ્યવસ્થા કરી આપવી, જુગાર રમાડવો હિતેષ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ ​​​​​​ (રહે-રતનપુર,વડોદરા)12 નોંધાયેલા ગુના1 વખત પાસા આચરેલા ગુનાના પ્રકારહથિયારો વડે હત્યાની કોશીષ, ખોટા દસ્તાવેજ બનાવવા, ખોટા બીલ્ટી કાગળો બનાવી સાચા તરીકે ઉફયોગ કરી છેતરપીંડી કરવી, જાનથી મારી નાખવાની ધાક ધમકી, દારૂની હેરાફેરી સીમાબેન રાકેશ જયસ્વાલ(રહે- રતનપુર,વડોદરા)7 નોંધાયેલા ગુના 1 વખત પાસા આચરેલા ગુનાના પ્રકારખુનની કોશીષ, સરકારી નોકર પર હુમલો, દારૂની હેરાફેરી,સંગ્રહ અને વેચાણ કરવો. વડોદરા રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારીયા (રહે- હિરાબા નગર,બાપોદ જકાતનાકા)3 નોંધાયેલા ગુનાઆચરેલા ગુનાના પ્રકારખુનની કોશીષ, હથીયાર વડે મારામારી, મહાવ્યથા, જાનથી મારી નાખવાની ધમકી. સચીન રાકેશ જયસ્વાલ(રહે- રતનપુર,વડોદરા)5 નોંધાયેલા ગુના1 વખત પાસાઆચરેલા ગુનાના પ્રકારખુનની કોશીષ, ઈંગ્લીશ દારૂની હેરાફેરી-સંગ્રહ અને વેચાણ તેમજ જુગાર રમાડવો

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:33 am

આયોજન:ગાંધીનગરમાં વર્કિંગ વુમન માટે મનપા હોસ્ટેલ બનાવશે

ગાંધીનગરમાં અનેક કંપનીઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ આવેલી હોવાથી રોજગારી માટે મોટી સંખ્યામાં લોકો બહારથી આવે છે. આથી બહારથી આવતી મહિલાઓને રહેવા માટે સલામત જગ્યા પુરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ટીપી-6 કુડાસણ વિસ્તારમાં આધુનિક સુવિધા સાથે ત્રણ મજલાની હોસ્ટેલ બનાવવા માટે 25.60 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ માટેની મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટી, ગિફ્ટ સિટી, ટીસીએસ સહિતની કંપનીઓ અને તે સિવાય અનેક યુનિવર્સિટીઓ તેમજ અન્ય સંસ્થાઓમાં નોકરી માટે મહિલાઓ ગાંધીનગર આવે છે. જેઓ એકલા રહેતા હોવાથી ખાનગી પીજી કે ફ્લેટ ભાડે રાખવો પડે છે. આ સ્થિતિ નિવારવા અને તેમના કામના વિસ્તારની નજીકમાં જ હોસ્ટેલની સુવિધા મળી રહે તેમજ રહેવા માટે સલામત વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર વર્કિંગ વૂમન હોસ્ટેલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચરેમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે ગાંધીનગર જે પ્રમાણે વિકાસ કરી રહ્યું છે ત્યારે બહારથી મોટી સંખ્યામાં આવતી મહિલાઓને રહેવા માટેની સુવિધા પુરી પાડવા આયોજન કરાયું છે. મહાનગરપાલિકા દ્વારા ટીપી-6 કુડાસણ વિસ્તારમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા માટે 31.99 કરોડના ખર્ચના અંદાજ સાથેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેની સામે 19.96 ટકા નીચું 25.60 કરોડ રૂપિયાનું ટેન્ડર ભરાઇને આવ્યું છે. જેને મંગળવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઇ છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:31 am

મ્યુ. કમિએ અપીલ કરી:દિવાળીમાં 4 હજાર કર્મીઓ સાથે 30 લાખ લોકો પણ સફાઈ માટે જોડાયઃ મ્યુ.કમિશનર

પાલિકામાં મળેલી બેઠકમાં મ્યુ. કમિશનરે દિવાળીમાં સ્વચ્છતાને પ્રાધાન્યતા આપવા લોકોને અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે, લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે. પાલિકાના 4 હજાર સફાઈ કર્મી સાથે 30 લાખ શહેરીજનોને પણ સ્વચ્છતામાં જોડાવવા અપીલ છે. પહેલાં 150 મેટ્રિક ટન વેટ મિક્સથી રોડ બનતા હતા, પરંતુ હાલમાં 1500 મેટ્રિક ટનથી રોડ બનાવાય છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું કે, કર્મચારીઓની હાજરી માટે બાયોમેટ્રિક પદ્ધતિની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં 4 હજાર કર્મચારીઓની નોંધણી થઈ છે. હજી 3 હજાર કર્મીની નોંધણી બાકી છે. તેઓએ દિવાળીમાં સ્વચ્છતાને પ્રાધાન્યતા આપવા લોકોને અપીલ કરી કહ્યું કે, દિવાળીમાં શહેરીજનો જ્યાં ત્યાં કચરો ન નાખે. પાલિકા સાથે 30 લાખ જેટલા શહેરીજનો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે જરૂરી છે. કેટલીક ગલીઓ અને કેટલાક રસ્તાઓ પર સ્વચ્છતા થતી નથી, જેની ફરિયાદ મળી છે. જેથી કામગીરી ન કરનાર સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને કર્મી સામે કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં આવેલાં 12 તળાવ પર ગંદકી હોવાનું સામે આવ્યું છે, જેથી તેની સફાઈ કરવા પણ સૂચના અપાઈ છે. મુખ્યમંત્રીની સૂચના બાદ દિવાળી પૂર્વે તમામ રસ્તાનું સમારકામ કરવા કહ્યું છે. જેમાં પહેલાં 150 મેટ્રિક ટન વેટમિક્સથી રોડ બનાવતા હતા, હવે 1500 મેટ્રિક ટનથી રોડ બનાવાય છે. સાથે આગામી દિવસોમાં આઇકોનિક રોડ, આઇકોનિક બિલ્ડિંગ જેવા કોન્સેપ્ટ પર કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:19 am

સિટી એન્કર:સાવકા પિતાના ત્રાસથી 8 વર્ષનો બાળક મુંબઈથી ટ્રેનમાં વડોદરા આવી ગયો, પોલીસે ગૂગલ મેપથી સરનામું મેળવી માતાને સોંપ્યો

સાવકા પિતાના ત્રાસથી 8 વર્ષનો બાળક મુંબઈ સ્થિત ઘરેથી ભાગી ટ્રેનમાં બેસી ગયો હતો. જોકે મહિલા મુસાફરની સૂઝબૂઝથી વડોદરા રેલવે પોલીસ અને ચાઈલ્ડ હેલ્પ લાઈન દ્વારા તેની માતાને સોંપ્યો છે. બાળકને ગૂગલ મેપ બતાવી તેના ઘરની આસપાસનું લોકેશન જાણી પોલીસે મહારાષ્ટ્રના કલ્યાણ પોલીસ મથકનો સંપર્ક કરી માતાને શોધી હતી. ચાઇલ્ડ હેલ્પ લાઈનના અધિકારીઓએ કહ્યું કે, વડોદરા સ્ટેશન ખાતે આવેલી ટ્રેનમાં બાળક ગભરાયેલું હોવાની જાણ મહિલા મુસાફરે રેલવે પોલીસને કરી હતી. જેથી રેલવે હેલ્પ ડેસ્કની ટીમ બાળક પાસે પહોંચી હતી. ગભરાયેલા બાળકને મહિલા કર્મીઓએ શાંત પાડ્યું હતું. તેનું મેડિકલ ચેકઅપ કરાવીને બાળ કલ્યાણ સમિતિના માર્ગદર્શન હેઠળ બાળ ગોકુલમમાં આશ્રય અપાયો હતો. બાળક મરાઠી ભાષા જ જાણતું હોવાથી મરાઠી ભાષાના જાણકાર પોલીસ કર્મીએ વાત કરતાં તે મુંબઈનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકને તેના ઘરની આસપાસનાં સ્થાનો અંગે પૂછતાં તેણે જે જે સ્થાનો કહ્યાં તે ગૂગલ મેપ પર જોતાં મુંબઈના કલ્યાણ પોલીસ સ્ટેશનની હદ આવતી હોવાનું જણાયું હતું. જેથી કલ્યાણ પોલીસનો સંપર્ક કરી બાળકની માતાને શોધી કાઢી હતી. માતાને બોલાવીને બાળકની ઓળખ વિધિ કરાવી તેને સોંપ્યું હતું. માતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, બાળકનાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા છે. માતા અન્ય વ્યક્તિ સાથે રહે છે. જ્યાં સાવકા પિતા દ્વારા બાળકને માર મારતાં તે ભયભિત થઈ ઘરેથી ભાગી ટ્રેનમાં બેસી ગયો હતો. પોલીસે માતાને બાળકની કાળજી રાખવા સૂચના આપી હતી. બાળકની હેરાનગતિ થતી હોય તો 1098 પર સંપર્ક કરવો જોઈએવડોદરા રેલવે પોલીસે જણાવ્યું હતું કે, કોઈ પણ બાળકની સુરક્ષા, સલામતી કે કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈનનો સંપર્ક કરીને જે તે બાળકની જાણકારી આપવી જોઈએ. આ ફરિયાદ બાદ બાળ કલ્યાણ સમિતિ, રેલવે પોલીસ, જનરક્ષક અને બાળ ગોકુલમ દ્વારા મદદ મળતી હોય છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:18 am

સ્પે. ટ્રેનો દોડાવાશે:દિવાળીમાં બિહારની 2 સ્પે.ટ્રેન પ્રતાપનગર સ્ટેશનથી ઊપડશે

દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બિહાર માટે 2 ફેસ્ટિવલ સ્પે. ટ્રેનો દોડાવાશે. બંને ટ્રેનો પ્રતાપનગર સ્ટેશનથી ઊપડશે, જેમાંથી એક બુધવારે અને બીજી મંગળવારે ઊપડશે. બુધવારે પ્રતાપનગર કટિહાર ફેસ્ટિવલ સ્પેશિયલ શરૂ કરાઈ છે. જે બુધવારે સાંજે 4.30 કલાકે પ્રતાપનગર સ્ટેશનથી ઊપડશે. બીજી ટ્રેન પ્રતાપનગર-જયનગર રવિવારે સાંજે 4.30 વાગ્યે ઊપડશે. કટિહાર માટેની ટ્રેન 15મી અને 22મીથી પ્રતાપનગરથી ઊપડશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:17 am

વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી,શહેરમાં અસર નહીં

શ્રીલંકા પાસે સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનથી 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે તેની વડોદરામાં કોઈ અસર નહીં થાય. જ્યારે ગરમીનો પારો 33 ડિગ્રી સુધી યથાવત્ રહેશે. શહેરમાં વહેલી સવારે ઠંડકનો અનુભવ થશે. હવામાન શાસ્ત્રી મુકેશ પાઠકે કહ્યું કે, શ્રીલંકા પાસે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે કેરળ થઈ ઓમાન તરફ ફંટાશે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. વડોદરામાં તેની અસર થશે નહીં. 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જેમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના છે. શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 34.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 20.2 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને સાંજે 36 ટકા નોંધાયું હતું. જ્યારે 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:16 am

સગવડ:સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક વોર્ડનું વિસ્તરણ,દર્દીને ઝડપી સારવાર મળશે

સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરાઈ રહ્યો છે. જે અંતર્ગત હોસ્પિટલના તાત્કાલિક વોર્ડનું વિસ્તૃતીકરણ કરી નવા ઈમર્જન્સી સર્જિકલ વોર્ડનું 77 લાખના ખર્ચે નિર્માણ કરાયું છે. હાલ તાત્કાલિક વિભાગમાં 18 બેડની સુવિધા છે, જેમાં નવા વોર્ડમાં 13 બેડની સુવિધા છે. જેથી બેડની સંખ્યા 31 થઈ જશે. જેથી ક્યારેક એક બેડ પર 2 દર્દીને સારવાર લેવી પડે છે, તે સમસ્યા દૂર થશે. આ વોર્ડનું ઉદ્ધાટન દિવાળી પછી કરી દેવાશે. સયાજી હોસ્પિટલમાં દર મહિને ઈમર્જન્સીના 10 હજારથી વધુ કેસ આવે છે. જોકે અઠવાડિયાના 7માંથી 4 દિવસ એવા કિસ્સા બને છે, જેમાં 1 બેડ પર 2 દર્દી સારવાર લેતા હોય છે. મંગળવારે બપોરે 1 બેડ પર 2 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાને લઈને ઈમર્જન્સી વોર્ડનું વિસ્તૃતિકરણ કરાયું છે. 77 લાખના ખર્ચે કોર્પોરેટ હોસ્પિટલ કક્ષાની તમામ સુવિધા સાથે આ વોર્ડનું નિર્માણ કરાયું છે. જેમાં નવી દવા, કેસ બારી, નર્સિંગ સ્ટેશન, સ્ટોર રૂમ બનાવાયા છે. હાલ તાત્કાલિક વિભાગમાં 2 જ કેસ બારી છે, જેને કારણે લાંબી લાઈનો લાગે છે. નવા વોર્ડમાં 4 કેસ બારી બનાવાઈ છે. સાથે 108 એમ્બ્યુલન્સ માટે જૂના ગેટ સાથે નવા ગેટનું નિર્માણ કરાયું છે, જેમાં એમ્બ્યુલન્સ માટે રેમ્પ બનાવાયો છે, જેના દ્વારા દર્દીને સરળતાથી વોર્ડમાં લઈ જઈ શકાશે. સાથે દીપક ફાઉન્ડેશન અને પોલીસ ચોકીનું અલાયદું નિર્માણ કરાયું છે. થોડા સમય બાદ જૂના વોર્ડનું પણ રિનોવેશન કરાશેનવા સર્જિકલ ઈમર્જન્સી વોર્ડનું નિર્માણ કોર્પોરેટ હોસ્પિટલની કક્ષાએ કરાયું છે. જેનું દિવાળી બાદ ઉદ્ધાટન કરાશે. વોર્ડમાં સેન્ટ્રલ એસી સાથે તમામ સુવિધા છે. દર્દીઓની સારવાર વચ્ચે આ વોર્ડ તૈયાર કરાયો છે.વોર્ડ શરૂ થતાં ઈમર્જન્સી સુવિધા બેવડી થઈ જશે. જેની સીધી અસર દર્દીની સારવાર પર પડશે. થોડા સમયમાં જૂના વોર્ડનું પણ રિનોવેશન કરાશે. > રંજન ઐયર, સુપરિન્ટેન્ડેન્ટ, સયાજી હોસ્પિટલ આગામી સમયમાં 2 ઈમર્જન્સીને જોડતો કોરિડોર બનશેતાત્કાલિક વિભાગમાં 2 ઈમર્જન્સી વોર્ડમાં 31 બેડની સુવિધા શરૂ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં જૂના ઈમર્જન્સી વોર્ડનું પણ રિનોવેશન કરવામાં આવશે. આ ઉપરાંત 2 ઈમર્જન્સી વિભાગને જોડતો એક કોરિડોર પણ બનાવવામાં આવશે, જેથી દર્દીઓને સરળતાથી લઈ જઈ શકાય.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:14 am

સ્વાગત:દિવાળીમાં સ્વદેશી વસ્તુ ખરીદો,140 કરોડ લોકો સ્વદેશી અપનાવશે તો ભારતને કોઈ હંફાવી નહીં શકેઃ વિશ્વકર્મા

ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી બાદ વડોદરા આવેલા જગદીશ વિશ્વકર્માએ દિવાળીમાં લોકોને સ્વદેશી વસ્તુ ખરીદવા અપીલ કરી હતી. 140 કરોડ જનતા સ્વદેશી વસ્તુ ખરીદશે તો ભારતને કોઈ હંફાવી નહિ શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેઓએ ઓળખાણ કે બ્લેસિંગ સિવાય કામ કરો, પાર્ટી કદર કરે છે તેમ કહી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. વડોદરા એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ 250થી વધુ ટુ-વ્હીલર સાથે ઊભેલા કાર્યકર્તા સાથે રોડ શો યોજ્યો હતો. કાર્યકરોનો ઉત્સાહ જોઈ એરપોર્ટ સર્કલ પર તેઓ કારમાંથી ઊતરી કાર્યકર્તાના ટુ-વ્હીલર બેસી કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાનમાં પહોંચ્યા હતા. જ્યાં જગદીશ વિશ્વકર્મા અને ભૂપેન્દ્ર પટેલે સંતોનું ફૂલની છોળો ઉડાવી સ્વાગત કર્યું હતું. જ્યારે એરપોર્ટ પર યુવાઓનો જોશ જોઈ તેઓએ મંચ પર ‘હાઉ ધ જોશ’થી સંબોધનની શરૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે, કાર્યરો ભાજપની ઇમારતના પાયાની ઈંટ છે. ભાજપનો કાર્યકર ઘરે સૂતો હોય અને ભારત માતાના જય ઘોષ થાય તો તે દોડતો થઈ જાય છે. તેઓએ કાર્યકરોને અપીલ કરી કે, દિવાળીમાં સ્વદેશી વસ્તુ ખરીદો. 140 કરોડ લોકો ખરીદી કરશે તો દુનિયાના અન્ય દેશોનું ગમે તે થાય, પણ ભારતને કોઈ હંફાવી નહીં શકે. જગદીશ વિશ્વકર્માએ વિકાસની રાજનીતિ કરવા બદલ વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. વિદેશમાં ભારતનું નામ લેતાં જ લોકોની આંખોમાં ચમક આવી જાય છેઃ મુખ્યમંત્રીપ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનની શરૂઆત ‘બોલો રામચંદ્ર ભગવાનની જય’થી શરૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે, જગદીશ વિશ્વકર્મા અમદાવાદના શહેર પ્રમુખ હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો. હાલમાં હું મુખ્યમંત્રી છું અને તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા છે. કાર્યકર્તાઓની મૂંઝવણ, તેઓને આવવા-જવાની આર્થિક મૂંઝવણ કે તકલીફ ન વધે તેની ચિંતા પ્રદેશ પ્રમુખ કરશે. અભિવાદન સમારોહ જગદીશ વિશ્વકર્માનો ઉત્સાહ વધારવા નહિ, પણ તેઓની સાથે જોડાવાનો કાર્યક્રમ છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને દેશને ગૌરવવંતો બનાવ્યો છે. વિદેશમાં ભારતનું નામ લેતાં જ લોકોની આંખમાં ચમક આવે છે.જેની સાથે કોઈ બાથ ન ભીડે તેની સાથે બાથ ભીડવાની તાકાત બતાવી છે. મુખ્યમંત્રીએ પણ લોકોને સ્વદેશી વસ્તુ ખરીદવા અપીલ કરી હતી. મકરંદ દેસાઈ, રમેશ ગુપ્તા સહિતના પાયાના કાર્યકરોને યાદ કર્યાજગદીશ વિશ્વકર્માએ મંચ પરથી સંબોધન કરતાં જૂના કાર્યકર્તાઓ મકરંદ દેસાઈ, ભૂપેન્દ્ર પટેલ, રમેશ ગુપ્તા અને ઓચ્છવલાલ શાહને યાદ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, વડોદરામાં સંઘની પ્રથમ શાખા શરૂ થઈ હતી. વડોદરામાં કેનેરા કોફી હાઉસને તેઓએ યાદ કરી કહ્યું હતું કે, તેઓ કેયુર રોકડિયા અને ભરત ડાંગર સાથે ફરતા હતા. વડોદરાની ભાખરવડી અને ચેવડો પણ તેમને રાજેન્દ્ર ત્રિવેદીએ ખવડાવ્યો છે. તેઓએ મંચ પર બેઠેલા જૂના કાર્યકર્તાઓ પૈકી એન.બી. પટેલને યાદ કરી તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. ગાયકવાડી શાસનનાં સૂત્રોનું પુસ્તક લાવી કાર્યકર્તાઓએ વાંચવું જોઈએ:પ્રદેશ પ્રમુખજગદીશ વિશ્વકર્માએ યુવાઓને કહ્યું હતું કે, પી. માધવરાવે લખેલાં શાસનનાં સૂત્રો યુવા કાર્યકર્તાઓએ વાંચવાં જોઈએ. પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓને આ પુસ્તક ગિફ્ટ આપ્યું હતું. તેઓએ પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાને પણ યાદ કરી તેમણે આપેલી અત્તરની ગિફ્ટ અંગેની પણ વાત કાર્યકર્તાઓ વચ્ચે વાગોળી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન સ્વ.નિષિધ દેસાઇના ઘરે મુખ્યમંત્રીએ મુલાકાત કરીશિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઇનું નવરાત્રીમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે પરિવારની મુલાકાત કરી હતી. તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી. ભારે વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં તેઓ પક્ષના અદના કાર્યકરના ઘરે મુલાકાત કરી હતી. સ્વાગત કાર્યક્રમમાં 15 હજાર ફુલ સ્કેપ ચોપડા, 500 પુસ્તકો પ્રદેશ પ્રમુખને અપાયાંપ્રદેશ પ્રમુખે તેમના સ્વાગતમાં ફૂલ-ગુલદસ્તાને બદલે ચોપડા અને પુસ્તકો આપવા કહ્યું હતું. જેથી શહેરના ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ મોટી સંખ્યામાં ચોપડા-પુસ્તકો આપ્યા હતા. સ્વાગતમાં 15 હજાર ફુલ સ્કેપ ચોપડા તથા 500 પુસ્તકો અપાયાં હતાં. તમામ પુસ્તકો જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરાશે, જ્યારે પુસ્તકો લાઇબ્રેરીમાં દાનમાં અપાશે. ચક્કાજામથી નાગરિકોમાં રોષ, દર મહિને આવા કાર્યક્રમો કરે છે,અમારે હેરાન થવાનુંભાજપ પ્રદેશ પ્રમુખના સ્વાગત કાર્યક્રમને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો. અંબાલાલ પાર્ક ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, મુક્તાનંદ, કારેલીબાગ ટાંકી, વુડા સર્કલ સહિતના વિસ્તારોમાં ચક્કાજામ થયો હતો. જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વારંવાર વીઆઇપી મુવમેન્ટથી ત્રસ્ત લોકોએ બળાપો ઠાલવ્યો કે, દર મહિને આવા કાર્યક્રમો કરે છે, જેમાં સામાન્ય નાગરિકોએ હેરાન થવું પડે છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:10 am

કૃષિમંત્રીનું સંબોધન:બોટાદની ઘટના ખેડૂતોને ઉશ્કેરી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનું કૃત્ય

ગોધરામાં રાજ્યકક્ષાનો કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવનો હતો. પરંતુ મુખ્યમંત્રી ન આવતા મહોત્સવનો પ્રારંભ ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. ગોધરાના છબનપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-2025ની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજયના મુખ્યમંત્રી ન આવતા મહોત્સવનો પ્રારંભ ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થીતીમાં કરવામાં આવ્યો હતો. તેમને જણાવ્યુ હતુ કે ગુજરાતનો કૃષિ વિકાસ દર 9.75% રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં 1 કરોડ વધુ ખેડૂતોને રૂ.12 હજાર કરોડથી વધુની કુદરતી આપદા સહાય આપવામાં આવી છે. ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે પંચમહાલ ડેરી, પીડીસી બેંક પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોને રૂા.3 લાખ સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધિરાણ આપવામાં આવે છે. કાર્યક્રમમાં જિલ્લાના ૩૦ થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. જ્યારે કૃષિમંત્રીએ જણાવ્યું કે બોટાદની ઘટના ખેડૂતોને ઉશ્કેરી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હોય એવું કેટલાક રાજકીય લોકોનું આ કૃત્ય હોય એવું પોતાનું માનવું છે. તેમજ રાજ્યમાં કેટલી મગફળી ખરીદવીએ જથ્થા અંગે હજી સુધી નિર્ણય થયો નથી. પરંતુ ટૂંક સમયમાં જ નિર્ણય કરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. મંત્રી મંડળના વિસ્તરણ અંગે રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે તે મારો વિષય નથી એમ કહી આ અંગે બોલવાનું ટાળ્યું હતું. મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત નહિ રહેવા અંગે રાઘવજી પટેલે જણાવ્યુ કે મુખ્યમંત્રી દિલ્હી ગયા હોવાથી આવી શકયા નથી. કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવમાં મહાનુભવો, આમંત્રીત મહોમાનો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:05 am

રેલવે દ્વારા જાહેરાત:દિવાળી-છઠ પૂજા માટે શરૂ થનાર 4 જોડી પૂજા સ્પેશિયલ ટ્રેનને ગોધરા-દાહોદ સ્ટોપેજ અપાશે

આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રતલામ રેલવે મંડળ મારફતે 4 જોડી સંપૂર્ણપણે અનારક્ષિત પૂજા સ્પે.ટ્રેનો દોડાવશે. જેને ગોધરા અને દાહોદ ખાતે સ્ટોપેજ આપ્યું છે. આ નિર્ણયથી ઉત્તર ભારત તરફ જતા પંચમહાલ અને દાહોદ જિલ્લાના હજારો મુસાફરોને મોટી રાહત મળશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા પર ચાલશે અને તે સંપૂર્ણપણે અનારક્ષિત હોવાથી મુસાફરો સ્ટેશન પરથી ટિકિટ ખરીદીને સીધી મુસાફરી કરી શકશે. આ 4 જોડી ટ્રેનોમાંથી 2 જોડી દૈનિક અને 2 જોડી સાપ્તાહિક ધોરણે ચાલશે. વલસાડ – બરૌની (દૈનિક) સ્પે.ટ્રેન નં. 09089 વલસાડથી 14 થી 27 ઓક્ટોબર સુધી દરરોજ બપોરે 12:50 વાગે ઉપડશે. આ ટ્રેન તેના રૂટમાં ગોધરા ખાતે સ્ટોપેજ લીધા બાદ દાહોદ ખાતે સાંજે 7:30 વાગે પહોંચશે અને ત્રીજા દિવસે બરૌની પહોંચશે. પરત ફરતી ટ્રેન નં. 09090 બરૌનીથી 16 થી 29 ઓક્ટોબર દરમિયાન દરરોજ ચાલશે. ઉધના – સમસ્તીપુર (દૈનિક) સ્પે.ટ્રેન નં. 09091 ઉધનાથી 14 થી 27 ઓક્ટોબર સુધી દરરોજ રાત્રે 10:00 વાગે ઉપડશે. આ ટ્રેન ગોધરા ખાતે સ્ટોપેજ લઈને દાહોદ ખાતે રાત્રે 03:03 વાગે પહોંચશે અને ત્રીજા દિવસે સમસ્તીપુર પહોંચશે. પરત ફરતી ટ્રેન નં. 09092 સમસ્તીપુરથી 16 થી 29 ઓક્ટોબર સુધી દરરોજ ચાલશે. પ્રતાપનગર – કટિહાર (સાપ્તાહિક) સ્પે.ટ્રેન નં. 09123 પ્રતાપનગરથી 15 અને 22 ઓક્ટોબરે (બુધવારે) સાંજે 4:30 વાગે ઉપડશે. આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ અને નાગદા જેવા સ્ટેશનો પર ઉભી રહીને શુક્રવારે કટિહાર પહોંચશે. પરત ફરતી ટ્રેન નં. 09124 કટિહારથી 17 અને 24 ઓક્ટોબરે (શુક્રવારે) ઉપડશે. આ સાથે પ્રતાપનગર – જયનગર (સાપ્તાહિક) સ્પે.ટ્રેન નં. 09151 પ્રતાપનગરથી 19 અને 26 ઓક્ટોબરે (રવિવારે) સાંજે 4:35 વાગે ઉપડશે. આ ટ્રેન પણ ગોધરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન જેવા મહત્વના સ્ટેશનો પર ઉભી રહીને મંગળવારે જયનગર પહોંચશે. પરત ફરતી ટ્રેન નં. 09152 જયનગરથી 21 અને 28 ઓક્ટોબરે (મંગળવારે) ઉપડશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:02 am

પુરવઠા તંત્રનું આયોજન‎:120 દુકાનોમાં 18 લાખ કિલો અનાજ અને તેલનો જથ્થો પહોંચતો કરાયો

પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 120 સરકારી અનાજની દુકાનોમાં 18 લાખ કિલો અનાજ તથા તેલના 1 કિલોના કુલ 49631 પેકેટ પહોંચતા કર્યા છે. દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ લોકો સુધી સરળતાથી મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરે છે. જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા તાલુકાના સેન્ટરો પર અનાજ પહોચાડવા સાથે મોનિટરિંગની કામગીરી કરે છે. પંચમહાલની તમામ રેશનિંગની દુકાનો પર ગોધરા તાલુકાના અબ્રાહમના મુવાડા ખાતે આવેલ સરકારી ગોડાઉન ખાતેથી અનાજ વિતરણની કામગીરી શરૂ કરી હતી. દિવાળી પહેલા તાલુકામાં તેમજ શહેરી સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પુરવઠનું વિતરણ તા.25 નવેમ્બરથી 12 ઓક્ટોબર સુધી કરાયું હતું. જેમા ગોધરા તાલુકામાં ગ્રામ્યમાં કુલ 87 અને શહેરમાં 33 સેન્ટરો મળી જિલ્લાના કુલ 120 સેન્ટરો પર વાહનો મારફતે ઘઉં, ચોખા, મીઠું, દાળ, ચણા, તેલ સહિતના જથ્થાનું વિતરણ કરેલ હતું. જેમા કુલ 18 લાખ કિલોથી વધુ અનાજના 37 હજાર કટ્ટાના જથ્થાનું સેન્ટરો પર વિતરણ કરેલ હતું. તેલના 1 કિલોના કુલ 49631 પેકેટનું વિતરણ કરેલ હતું. વિતરણ કરાયેલ અનાજની માહિતી

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:00 am

દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ઘટ્યો:ડોમેસ્ટિકમાં કેરળ, ગોવા, રાજસ્થાન તો વિદેશમાં બાલી, વિયેતનામ જવાનો ક્રેઝ; લદાખ, નેપાળને આંતરિક વિવાદ નડ્યો

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતીઓએ પરિવાર સાથે હરવા ફરવા માટેનું પ્લાનિંગ કરી નાખ્યું છે. ગુજરાતીઓએ ભારતમાં ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, કેરળ, ઉતરાખંડ, લોનાવાલા, સાઉથ ઈન્ડિયા તેમજ ચારધામ યાત્રાએ જવાનું ટૂરિસ્ટ પેકેજ બુક કરાવી લીધુ છે. વિદેશમાં બાલી, દુબઇ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામ અને કઝાકિસ્તાન જવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લેહ-લદાખ અને નેપાળમાં આંતરિક-રાજકીય વિખવાદ તથા જમ્મુ કાશ્મીરમાં વરસાદ સહિતના કારણોને લીધે ત્યાં જવાનો ક્રેઝ ઘટ્યો છે. જેથી ગત વર્ષની તુલનામાં દિવાળીનો ટ્રાફિક 25 ટકા ઓછો જોવા મળી રહ્યો છે. જેની સામે ટિકિટના ભાવ પણ 15થી 20 ટકા વધ્યા છે. કુદરતી આફત, ભાવ વધારો હોવા છતાં પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓએ ફેવરિટ ટૂરિસ્ટ પોઇન્ટ પર પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવાનું મન બનાવી લીધુ છે, પરંતુ ગુજરાતીઓને આ વર્ષે દિવાળીમાં હરવા ફરવાનું મોંઘુ પડશે. જેને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ઘટ્યો છે. દિવાળીમાં ફરવા જવાનો ક્રેઝ ગત વર્ષ કરતાં થોડો ઓછોટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સભ્ય અને રાજકોટની આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ગોપાલ ઉનડકટે જણાવ્યું હતું કે, દિવાળીમાં બહાર ફરવા જવા માટેનો ક્રેઝ ગત વર્ષ કરતાં થોડો ઓછો છે. જે ક્રેઝ વધ્યો છે તે કઝાકિસ્તાન ઉપરાંત સાઉથ ઇસ્ટ એશિયાનો ક્રેઝ વધ્યો છે. જ્યારે દુબઇનો ક્રેઝ થોડો ઓછો થયો છે. આ વખતે ફ્લાઈટના રેટ ઘણા ઊંચા છે. ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ મુસાફરો માટે ટિકિટના દર વધ્યાઆ વખતે લેહ લદાખની સાથે ચારધામનો ક્રેઝ ફરી જોવા મળ્યો છે.જ્યારે ઇન્ટરનેશનલ લેવલે વિયેતનામ, સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ જવાનું લોકો વધુ પસંદ કરે છે. તેમણે જણાવ્યું કે, નેપાળ જવા માટેનો ક્રેઝ ઘટ્યો છે તે વાત સાચી છે પરંતુ દિવાળીના પર્વમાં નેપાળ જવાનો ક્રેઝ દર વર્ષે ઓછો જ હોય છે. જ્યારે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ મુસાફરો માટેની ટિકિટના દર વધ્યા છે. જેમાં અગાઉ જીએસટી 12% હતું તે 18% થઈ ગયું છે. જોકે તેની કોઈ મોટી અસર દેખાતી નથી. અંતમાં તેમણે જણાવ્યું કે દિવાળીનો બિઝનેસ આ વખતે 25% ઓછો જોવા મળે છે. ટ્રેન પહેલેથી જ હાઉસફૂલજ્યારે રાજકોટના ક્લિક ટુ ટ્રીપના સંચાલક પિયુષ જીવરાજાનીએ જણાવ્યુ હતું કે, આ વખતે ટ્રેન અગાઉથી જ હાઉસફૂલ જોવા મળી છે. રાજકોટથી હરવા ફરવા સહિતના સ્થળોએ જતી મોટાભાગની ટ્રેનોમાં 2 માસ પહેલા જ બૂકિંગ પૂર્ણ થઈ જતા વેઇટિંગમાં ટિકિટ મળી રહી હતી. રેલવેમાં ઓપનિંગનો ક્રેઝ એટલો સારો હતો કે હવે ટ્રેનની ટિકિટ મળતી નથી. સિક્કિમ-દાર્જિલિંગ જવામાં ધસારોઆ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, આ વખતે ઘણા બધા પરિબળોને કારણે ટૂરિસ્ટ પેકેજ પર અસર પહોંચી છે. પહલગામ હુમલા બાદ દિવાળીના તહેવાર પૂર્વે વરસાદ પડ્યો. જેના લીધે આ વખતે કાશ્મીર જવાનું પણ મોટાભાગના લોકો પસંદ કરતા નથી. આ બધા ફેક્ટરને કારણે સિક્કિમ અને દાર્જિલિંગ જતા લોકોનો ફ્લો વધ્યો છે. ડોમેસ્ટિકમાં રાજસ્થાન હોટ ફેવરિટજોકે હાલ ગોવા, કેરળ, સાઉથ ઈન્ડિયા જતા ટુરિસ્ટોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે ડોમેસ્ટિકમાં રાજસ્થાન આ વખતે હોટ ફેવરિટ છે. જેમાં જોધપુર, જેસલમેર, ઉદયપુર અને જયપુરમાં ટ્રાફિક જોવા મળે છે. જ્યારે ઇન્ટરનેશનલમાં દુબઈ, વિયેતનામ, સિંગાપોર, મલેશિયા અને બાલી જવા માટેનો ક્રેઝ જોવા મળે છે. વડોદરામાં જમ્મુ કાશ્મીર, હિમાચલ, નેપાળની ઘટનાઓ બાદ લોકો લાંબો પ્રવાસ ટાળી રહ્યા છેવડોદરાથી દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકોના ટ્રેન્ડ વિશે વાતચીત કરતા ટુર એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન જણાવે છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને નેપાળમાં થયેલી ઘટનાઓ બાદ લોકો લાંબો પ્રવાસ ટાળી રહ્યા છે. હાલમાં ગોવા અને રાજસ્થાન લોકો જઈ રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં લગભગ 50 ટકા જ બુકિંગ છે. લોંગ ટર્મની જગ્યાએ શોર્ટ ટૂરનો ક્રેઝઆ અંગે શ્રી ક્રિષ્ણા ટુરિઝમના માલિક અને એસોસિયેશન પ્રમુખ મનીષ શાહે જણાવ્યું હતું કે, આ વખતની જે દિવાળીની ટૂરો છે એ બહુ લોંગ ટૂરોવાળો માહોલ નથી. હાલમાં ચાર-પાંચ દિવસ, ત્રણ-ચાર દિવસ કે જે શોર્ટમાં લોકોને રજાઓ જેવી સેટ થાય છે એ પ્રમાણે એના બુકિંગ આવે છે. આ વખતની લોંગ ટૂરોમાં કાશ્મીર, હિમાચલ, નેપાળ આ બધા લોકેશન પર એટલું ખાસ બુકિંગ નથી. લોકો પોતાની ગાડી લઈને શોર્ટ ટૂરમાં જાય છેવધુમાં તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોમાં હજુ ગભરાહટ છે, હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને નેપાળની ઘટનાને લઇ લોકો લોંગ ટૂર ટાળી રહ્યા છે. આ વર્ષે માંડ બધી ભેગી થઈને 3-4 ગાડી જાય તો બહું છે. સાથે જ લોકો ટૂંકા પ્રવાસમાં પોતપોતાની ગાડી લઈને જતા રહેતા હોય છે. હાલની તારીખમાં 40-50 ટકાની આસપાસ જ બુકિંગવધુમાં કહ્યું કે, હાલની તારીખમાં જુઓ તો 40-50 ટકાની આસપાસ જ બુકિંગ લોકો પાસે છે. ઘણાની અડધી ગાડી ભરાઈ છે. હવે લાસ્ટ મોમેન્ટમાં શું થાય છે એની પર ગાડીઓ ઉપડે એવું કામ છે. અને આ વખતની ટૂરો મેક્સિમમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ, એમપી અને ગોવા છે. ઘણા બધાને એવું છે કે હવે અવારનવાર તહેવારોમાં લોકો ફરવા જતા હોય છે એટલે દિવાળીમાં લોકો જવાનું ટાળતા હોય છે કે બહુ ક્રાઉડમાં નથી જવું. આ સાથે ભાવમાં નોર્મલ 5-10 ટકા પ્લસ-માઇનસ થતું હોય છે. આ પણ અમુક તારીખો પૂરતું હોય કે ચાર-પાંચ દિવસનો જે ટાઇમ પિરિયડ હોય, એ ટાઇમ પિરિયડ પૂરતું હોય. બાકી તો પછી રેગ્યુલર નોર્મલ રેટમાં જ બધું ચાલતું હોય છે. જમ્મુ કાશ્મીર-હિમાચલની ઘટના બાદ શોર્ટ ટુરિઝમ તરફ લોકો વળ્યાઆ અંગે અન્ય એક ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું હતું કે, હાલમાં ગોવા અને રાજસ્થાન તરફ લોકો વળ્યા છે. હાલમાં દ્વારકા, જેસલમેર અને સાળંગપુર સહિતના સ્થળોએ લોકો ફરવા જઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં બનેલી ઘટના બાદ શોર્ટ ટુરિઝમ છે પરંતુ તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વાર જઈ રહ્યા છે અમદાવાદીઓતો અમદાવાદની વાત કરીએ તો સૌથી વધારે ભારતમાં કેરળ, અરુણાચલ પ્રદેશ, દાર્જિલિંગ અને રાજસ્થાન ફરવા માટેનો ક્રેઝ વધ્યો છે. જ્યારે ભારતની બહાર બાલી, શ્રીલંકા, દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં લોકો ફરવા માટે વધુ જઈ રહ્યા છે. સૌથી વધારે હોટ ફેવરિટ ચાલુ વર્ષે કેરળ અને તમિલનાડુ ફરવા માટે લોકો જઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તેમજ નેપાળમાં ભૂસ્ખલન તેમજ તોફાનોના કારણે બુકિંગ ખૂબ ઓછું થયું છે. ધાર્મિક પ્રવાસોમાં સૌથી વધારે લોકો વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા અને હરિદ્વાર જઈ રહ્યા છે. રામેશ્વરમ-ધનુસ્કોટી ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છેઅક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્ય સરકારે અઠવાડિયાથી 10 દિવસની રજા આપી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા માટે જઈ રહ્યા છે. LTC મળવાપાત્ર હોવાથી રજાઓ દરમિયાન ફરવા માટેનું બુકિંગ કરાવી રહ્યા છે. ફરવા માટે સૌથી હોટ ડેસ્ટિનેશન તરીકે કેરળ છે. રામેશ્વરમ અને ધનુસ્કોટી ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, જ્યારે દાર્જિલિંગ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયમાં પણ પોતાની પસંદગી ઉતારી છે. યુવાનોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ચાલુ વર્ષે ફરવા માટે બુકિંગ કરાવ્યું છે, જેમાં રાજસ્થાન અને ગોવા વધારે જઈ રહ્યાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને નેપાળમાં થઈ રહેલી અન્ય તકલીફોના કારણે ત્યાં જવાનું ટાળી રહ્યા છે પરંતુ ભારતમાં તમિલનાડુ અને કેરળ લોકો સૌથી વધુ ફરવા માટે જઈ રહ્યા છે. બાલી, શ્રીલંકા, દુબઈ, વિયેતનામ, મલેશિયા, સિંગાપુર જવાનો ક્રેઝભારતની બહાર ફરવા માટે બાલી, શ્રીલંકા, દુબઈ, વિયેતનામ, મલેશિયા સિંગાપુર જેવા દેશોમાં લોકો ફરવા માટેનું બુકિંગ કરાવી રહ્યા છે. જેનું પેકેજ પ્રતિ વ્યક્તિ 70,000થી 1 લાખ સુધીનું હોય છે અને મધ્યમ વર્ગને પણ પોસાય છે જેથી ત્યાં ફરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. ભારતમાં કેરળ, તમિલનાડુ સહિત વિવિધ શહેરો અને રાજ્યોમાં ફરવા માટે પ્રતિ વ્યક્તિનું પેકેજ અંદાજિત 50,000થી 70,000 સુધીમાં તમામ સુવિધા સાથે હોય છે. જે સૌને પોસાય છે. અત્યારે હાલમાં તમામ પ્રકારનું બુકિંગ ફુલ થઈ ગયું છે. દિવાળીમાં ફરવા જવા માટેની તૈયારીઓ પણ લોકોએ કરી લીધી છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:00 am

17 વર્ષ સુધી પોલીસની આંખમાં ધૂળ નાખીને એ જીવતો હતો:જેને મરેલો માન્યો તે અમદાવાદમાં રહેતો, પત્ની પૂછે તો કહેતો મારી હત્યા થઇ જશે

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક કાર વીજ થાંભલા સાથે અથડાઇ અને તેમાં આગ લાગી ગઇ. કારમાં એક યુવાન સવાર હતો. ઘણા પ્રયત્નો છતાં તે કારમાંથી બહાર ન નીકળી શક્યો અને જીવતો ભડથું થઇ ગયો. પોલીસે કારના નંબર પરથી તપાસ કરી અને મૃતકની ઓળખ મેળવી. જેમાં મૃતકનું નામ અનિલ હોવાનું ખૂલ્યું. પરિવારે લાશ અને કારની ઓળખ કરીને મૃતદેહ સ્વીકારી લીધો હતો. પરિવારની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે મૃતકને કોઇ સાથે દુશ્મની નહોતી. જેથી પોલીસે આ કેસને અકસ્માતનો માની લીધો અને ફાઇલ બંધ કરી દીધી. આ ઘટનાને 17 વર્ષના વહાણા વિતી ગયા હતા. (પહેલો એપિસોડ વાંચવા અહીં ક્લીક કરો) હવે આજના એપિસોડમાં વાંચો.... આ કેસમાં જે રહસ્ય ખૂલવાનું હતું તે શું હતું?આ કેસમાં શું નવા ઘટસ્ફોટ થવાના હતા?ઉત્તર પ્રદેશના આગ્રામાં બનેલી આ ઘટનાનું ગુજરાત કનેક્શન શું હતું? જ્યારે આ સવાલો પરથી પડદો ઊંચકાયો ત્યારે પોલીસ પણ ચોંકી ગઇ. આગ્રાની એ રાત અને અનિલનું મૃત્યુ એક ભૂતકાળ બનીને ભૂલાઇ ગયું હતું પણ આ ઘટનાએ હવે એક નવો જ વળાંક લીધો. તારીખઃ 7 નવેમ્બર, 2023સ્થળઃ અમદાવાદસમયઃ સાંજના 6:15 વાગ્યે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ગંગોત્રી સર્કલ પાસે પહોંચતા જ કોન્સ્ટેબલ રાકેશસિંહને બાતમી મળી કે આકાશી કલરનો શર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેરીને એક શખસ ઊભો છે તેનું નામ અનિલસિંઘ વિજયપાલસિંઘ છે. જે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનો રહેવાસી છે. તેણે LICની જીવન વીમા પોલિસી લીધી હતી. આ વીમો પકવવા માટે તેણે 2006માં પોતાના પિતા અને બીજા લોકો સાથે મળીને આગ્રા જઇ એક નાટક રચ્યું હતું. આ નાટક પ્રમાણે તેણે એક ભિક્ષુકને જમાડવાની લાલચ આપી ખોરાકમાં ઘેનની ગોળીઓ ખવડાવી દીધી હતી. જેના પછી ભિક્ષુક બેભાન થઇ જતાં તેને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસાડી કાર સળગાવી નાંખી હતી. કારમાં પોતે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કરાવીને તેના પરિવારે વીમા કંપની પાસેથી 80 લાખની રકમ મેળવી લીધી હતી. હકીકતમાં અનિલ મર્યો નથી તે જીવે છે અને હાલમાં અમદાવાદ આવીને ઓળખ બદલીને રાજકુમાર વિજયકુમાર ચૌધરી બનીને રહે છે. ખોટી ઓળખ ઊભી કરવા માટે તેણે ખોટા નામથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો પણ બનાવી લીધા હતા. આ શખસ હાલ ગંગોત્રી સર્કલથી દેવરત્ન સર્કલ વચ્ચે આવેલા સંગાથ ફાર્મની સામેના રોડની બાજુમાં ઊભો છે. પોલીસની ટીમ એકબીજા સામે જોવા લાગી. 17 વર્ષ જૂની વાત? 80 લાખનો વીમો? આ માત્ર વીમા કૌભાંડ નહોતું, આ તો હત્યા હતી! અને વર્ષોથી પોલીસની આંખમાં ધૂળ નાખીને જીવતો એક ખૂની પણ હતો. હવે પોલીસ તરત જ એક્શનમાં આવી.જે એડ્રેસ મળ્યું હતું ત્યાં પહોંચીને રાજકુમાર (અનિલ)ને કોર્ડન કરી લીધો હતો. હવે અહીં પોલીસ સામે મોટો પ્રશ્ન એ હતો કે રાજકુમારને પકડવો કઇ રીતે, જો જરા પણ ચૂક થાય તો તે હાથમાંથી નીકળી જાય તેમ હતો. વળી, આટલા વર્ષોથી તે પોલીસની આંખમાં ધૂળ નાખતો રહ્યો હતો એટલે તેને બહુ સારી રીતે ખબર હતી કે પોલીસથી કેવી રીતે બચવું. એડ્રેસ પર પહોંચેલી પોલીસે ત્યાં જ વ્યૂહ રચના ગોઠવી લીધી. હેડ કોન્સ્ટેબલે કહ્યું કે હું ઇશારો કરૂં એટલે તરત જ અનિલને પકડી લેવાનો છે. કોણ કઇ દિશાએથી આવશે અને કેવી રીતે અનિલને પકડશે તે પણ સમજાવી દીધું. હવે રાહ હતી ફક્ત એક ઇશારાની. બધી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી થોડી જ વારમાં હેડ કોન્સ્ટેબલે ઇશારો કર્યો અને પોલીસની ટીમે અનિલ તરફ દોટ મૂકી. ચારેતરફથી પોલીસકર્મીઓ પાસે આવીને ઊભા રહી ગયા. અનિલ કંઇ સમજે-વિચારે કે કોઇ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ પોલીસે તેને પકડી લીધો. આ સાથે જ 17 વર્ષ જૂનું નાટક એક ક્ષણમાં પૂરૂં થઇ ગયું! પકડીને પૂછપરછ કરતાં અનિલે નિકોલમાં મોહન નગર ચાર રસ્તા પાસે દિવ્યા રેસિડેન્સી સામે રહેતો હોવાનું કહ્યું હતું. પોલીસે સ્થળ પર જ તલાશી લેતાં તેના ખિસ્સામાંથી મોબાઇલ, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ તથા આર.સી.બૂક મળી આવ્યા હતા. આના પછી તેને ક્રાઇમ બ્રાંચની ઓફિસે લઇ જવાયો હતો. પોલીસકર્મીઓએ જેને પકડ્યો હતો તેની વિગતો ઉચ્ચ અધિકારીને આપી. જે જાણીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા. જો કે ક્યાંય કાચું ન કપાય તે માટે પોતે જ પૂછપરછ કરવાનું નક્કી કર્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાજકુમાર (અનિલ) ચૌધરીને વિશ્વાસમાં લીધો અને શરૂ થઇ એક પછી એક ખુલાસા કરનારી પૂછપરછ. અનિલે પોલીસને વર્ષો પહેલાં બનેલી એ ભયાવહ ઘટનાની શરૂઆતથી માંડીને વાત કરી. 2006ના સમયગાળામાં ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો જીવન મિત્ર પ્લાન અમલમાં હતો. તે પ્લાન મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનારા વીમા ધારકના પરિવારને વીમાની રકમના ચાર ગણા રૂપિયા વીમા કંપની તરફથી ચૂકવવામાં આવતા હતા એટલે અનિલના પરિવારે તેના નામે 20 લાખ રૂપિયાની વીમા પોલિસી ઉતરાવી હતી.આ પોલિસી પાસ કરાવવા માટે અનિલે પિતા વિજયપાલ, ભાઇ અભય, પોતાના ઓળખીતા મહિપાલ ગડરિયા અને રાકેશ ખટીક સાથે મળીને કાવતરૂં રચ્યું હતું. અંતે આ કાવતરૂં ગુજરાત પોલીસ સામે ઉઘાડું પડી ગયું. બધાએ ભેગા મળીને એવું નક્કી કર્યું હતું કે અનિલ કાર લઇને જશે અને રસ્તામાંથી કોઇ ભિક્ષુકને કારમાં બેસાડીને અકસ્માત કરીને કાર સળગાવી દેશે. જેમાં અનિલનું મોત નિપજ્યાનું સાબિત કરીશું અને પછી વીમાની રકમ મેળવી લઇશું. આ વાતની અનિલના પરિવાર અને 2 પરિચીતો સિવાય બીજા કોઇને ખબર નહોતી. હવે એ સમય આવી ગયો જેમાં પ્લાનને આખરી અંજામ આપવાનો હતો. એ સમયે એટલે 30મી જુલાઇની મોડી રાત. પ્લાન પ્રમાણે અનિલ અને બીજા લોકો સેન્ટ્રો કાર લઇને આગ્રા જવા નીકળ્યા હતા. રસ્તામાં તેઓ કોઇ ભિક્ષુકની શોધમાં હતા. જો કોઇ ભિક્ષુક મળી જાય તો તેને પોતાની સાથે લઇ જઇએ તેવું નક્કી કર્યું હતું. તેમની આ શોધ રસ્તામાં આવેલા એક ટોલનાકા પર પૂરી થઇ. ટોલનાકા પાસે તેમને એક ભિક્ષુક મળી ગયો. મહિપાલ અને રાકેશે એક ભિક્ષુકને જમાડવાની લાલચ આપી હતી. ભિક્ષુક બિચારો થોડા દિવસોથી ભૂખ્યો હતો, તેના મનમાં જમવાનું મળશે તેવી આશા જાગી. જઠરાગ્નિ ઠારવા ભિક્ષુક અનિલની કારમાં બેસી ગયો. થોડે આગળ જતાં રસ્તામાં એક હોટલ પાસે કાર ઊભી રહી. અનિલ અને તેના મળતિયાઓએ ભિક્ષુકને કહ્યું કે તું કારમાં જ બેસજે, અમે હોટલમાં જઇને તારા માટે જમવાનું લઇને આવીએ છીએ. ભિક્ષુક કારમાં બેસીને એ લોકોના પાછા આવવાની રાહ જોવા લાગ્યો. આ તરફ અનિલ અને તેના મિત્રોએ હોટલમાંથી જમવાનું ખરીદ્યું અને ભિક્ષુક પાસે જાય તે પહેલાં કોઇ જુએ નહીં તે રીતે એક ખૂણામાં જઇને તેમાં ઘેનની ગોળીઓ ભેળવી દીધી. ભિક્ષુકને કંઇ ખબર નહોતી, અનિલ અને તેના મિત્રોએ તેને ઘેનની ગોળીવાળું જમવાનું આપી દીધું. ભૂખના માર્યા તેણે બધું ખાઇ લીધું. થોડી જ વારમાં તે બેભાન થઇ ગયો. આના પછી અનિલે કાર આગ્રા તરફ દોડાવી મૂકી. આગ્રા આવતા-આવતા રાતના દોઢેક વાગ્યાનો સમય થઇ ગયો હશે. શહેરમાં પહોંચ્યા બાદ અનિલે રકાબગંજ વિસ્તારમાં આવેલા એક વીજ થાંભલા સાથે કાર અથડાવી હતી અને બેભાન થયેલા ભિક્ષુકને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસાડી દીધો. આજુબાજુમાં કોઇ જોતું નથી તેની ખાતરી કરીને કાર સાથે ભિક્ષુકને પણ સળગાવી નાખ્યો હતો. હકીકતમાં જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ડ્રાઇવિંગ સીટ પર અનિલ નહોતો પણ એક ભિક્ષુક હતો. આ વાત સારી રીતે જાણતા પરિવારે પણ અનિલના નાટકમાં સાથ આપ્યો. પોલીસની પૂછપરછમાં અનિલનું જ મોત થયું છે તેવું કહ્યું. જેના કારણે આગ્રા પોલીસે અનિલને મૃત જાહેર કર્યો હતો. આના પછી તો પરિવારે અંતિમવિધિ અને બેસણાંનું નાટક પણ કર્યું. અનિલનું ડેથ સર્ટિફિકેટ મેળવીને વીમા કંપની પાસે ક્લેઇમ કરી 80 લાખ રૂપિયા મેળવી લીધા. આ તરફ આખા કાવતરાંમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અનિલ પરિવારને જાણ કરીને અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદ આવીને તેણે રાજકુમાર વિજયકુમાર ચૌધરીનું નવું નામ ધારણ કરી લીધું હતું. અહીં આવીને તે રિક્ષા ચલાવવા લાગ્યો હતો. અનિલ અહીં અમદાવાદમાં રહેતો હતો જ્યારે તેના પિતા વિજયપાલ, માતા રાજબાલા, મોટો ભાઇ અભય અને ભાભી રજની ત્યાં ઉત્તર પ્રદેશમાં રહેતા હતા. એક એજન્ટ મારફતે અનિલે વર્ષ 2008માં પોતાના નવા નામના ખોટા ડોક્યુમેન્ટ બનાવડાવી તેના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખના ખોટા પુરાવા પણ ઊભા કરી લીધા હતા. આ પુરાવાના આધારે બેંકમાં ખાતું ખોલાવી મકાન ખરીદવા માટે હોમ લોન અને કાર લોન મેળવી લીધી હતી. દરમિયાનમાં પાડોશમાં જ રહેતી યુવતી રેશમા સાથે આંખ મળી જતાં તેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. લગ્નના સમયગાળા દરમિયાન રેશમાએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો. રેશમાને અનિલના ભૂતકાળ વિશે કોઇ ખબર નહોતી. રેશમા ફક્ત એટલું જ જાણતી કે અનિલ ઉત્તર પ્રદેશમાં રહે છે. તે જ્યારે અનિલને તેના વતન લઇ જવાની વાત કરતી ત્યારે અનિલ એવું કહેતો કે મારે ગામમાં મોટો ઝઘડો થયો છે એટલે મેં ગામ છોડી દીધું છે. જો હું હવે ગામમાં જઇશ તો મારી હત્યા થઇ શકે તેમ છે. અનિલનો આ જવાબ સાંભળીને રેશમા ચૂપ થઇ જતી. અનિલ પોતે ક્યાંય ફસાઇ ન જવાય કે ઝડપાઇ ન જવાય તેનું પણ ખૂબ ધ્યાન રાખતો કેમ કે તેને ખબર હતી કે હું ભલે જીવતો હોઉં પણ પોલીસ ચોપડે તો હું મરેલો જ છું. અમદાવાદ આવ્યાના આટલા સમયમાં તેણે પોતાના પિતા કે અન્ય પરિવારજનોનો ક્યારેય ફોન પર સંપર્ક કર્યો નહોતો. જો તેના પિતાને મળવું હોય તો અહીં ગુજરાતમાં રહેતા એક પરિચીતના નંબર પરથી ફોન કરીને તેના પિતાને મળવા દિલ્હી કે સુરત બોલાવતો હતો. જ્યાં તે પિતાને મળી લેતો. બધી ચાલાકી વાપરી તેમ છતાં પોલીસને અનિલના દોઢ દાયકા જૂના ગુના અંગે જાણ થઇ જ ગઇ. અનિલને પકડ્યા બાદ પોલીસે ઉત્તર પ્રદેશથી તેના માતા-પિતાને અમદાવાદ બોલાવ્યા હતા અને DNA ટેસ્ટ કરાવ્યો હતો. જે મેચ થતાં એવું પુરવાર થયું હતું કે આ એ જ અનિલ છે જે આગ્રા પોલીસના ચોપડે મરી ચૂક્યો છે. આમ રૂપિયા માટે ઘડાયેલા કાવતરાંનો 17 વર્ષ બાદ પર્દાફાશ તો થયો પણ કેટલાક લોકોની લાલચના કારણે એક નિર્દોષ ભિક્ષુકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનિલ હાલ અમદાવાદની જેલમાં બંધ છે. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:00 am

''રાજુ કરપડાને હાર્દિક પટેલ જેવું આંદોલન કરવું છે'':બોટાદમાં બબાલ પછીની હાલત, મહિલા બોલી- મારો ઘરવાળો નિર્દોષ છે, પોલીસવાળા સહી કરવાના બહાને લઈ ગયા

બોટાદ અને તેનાથી 6 કિલોમીટર દૂર આવેલા હડદડ ગામમાં પાંચ દિવસથી એક મુદ્દો ચગ્યો છે. એ છે કડદાનો મુદ્દો. કડદાનો મુદ્દો શું છે તે આગળ સમજાય જશે પણ આ કડદાના કારણે બોટાદ અને હડદડ ગામ સળગ્યાં. આ વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા. તેણે ખેડૂતોને હાકલ કરી કે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. આ નહિ ચલાવી લેવાય. આ હાકલ સાથે તેણે ખેડૂતોની મહાપંચાયત બોલાવી. આ મહાપંચાયત થાય તે પહેલાં જ ટોળાંએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી, પથ્થરમારો થયો અને પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા. 65 લોકોને દબોચી લીધા. આ બધું થયા પછી કદડાનો મુદ્દો રાખના ઢગલા જેવો છે. ઉપરથી ભલે ઠંડો લાગે પણ અંદરથી હજી ચિનગારી સળગી રહી છે. પહેલા આ બે તસવીરો જુઓ, 12 ઓક્ટોબરે હડદડ ગામમાં ઘર્ષણ થયું હતું... આમ આદમી પાર્ટીના નેતા કરપડાએ ત્યારે કહેલું કે પોલીસે મહાપંચાયતની મંજૂરી ન આપી. તો પોલીસે ત્યારે મીડિયાને એવું કહેલું કે મહાપંચાયતનું આયોજન કરવા મંજૂરી માગી જ નહોતી. અત્યારે સ્થિતિ એવી છે કે રાજુ કરપડા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ શોધી રહી છે. ભાસ્કર હકીકત જાણવા બોટાદમાં ગ્રાઉન્ડ પર પહોંચ્યું છે. આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવીશું કે, આ સમગ્ર કડદાનો મુદ્દો શું છે? તેની શરુઆત ક્યાંથી થઈ? ખેડૂતોની શું માંગ છે? જે લોકોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ તેમના પરિવારજનો શું કહી રહ્યા છે? યાર્ડના લોકો શું કહી રહ્યા છે? અને ખેડૂતોની સ્થિતિ પણ જાણીશું. કડદાનો સમગ્ર મુદ્દો કેવી રીતના ઉઠ્યો?બોટાદમાં સોશિયલ મીડિયામાં એક ખેડૂતનો વીડિયો ફરતો થયો આ વીડિયો હતો કપાસમાં થતા કડદાનો એટલે કે ખેડૂત તેમનો કપાસ માર્કેટીંગ યાર્ડમાં લઈ જાય. જ્યાં હરાજી સમયે નક્કી કરેલા ભાવ કરતા જીન (ગોડાઉન)માં ઓછો ભાવ આપવામાં આવે. આ વીડિયો વાયરલ થયા બાદ બોટાદ અને તેની આસપાસના કપાસના ખેડૂતોમાં રોષ ફેલાયો અને મુદ્દો પકડી લીધો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ.. 9-10 ઓક્ટોબરના રોજ રાજુ કરપડા પોતે ટેમ્પો ચલાવીને 15 મણ કપાસ લઈને બોટાદના માર્કેટીંગ યાર્ડમાં પહોંચી ગયા. અહીંયા તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હતા. ભારે ભીડવાળા ખેડૂતોના વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થયા અને 12 ઓક્ટોબર રવિવારના દિવસે મહાપંચાયતનું આયોજન કરાયું. આ આયોજન બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કરાયું હતું પરંતુ પોલીસ પરવાનગી ન આપતા હડદડ ગામમાં આયોજન કરવું પડ્યું. કડદો એટલે શું?ખેડૂતનો માલ પહેલા સવારમાં યાર્ડમાં આવે અહીં બધા એજન્ટો અને વેપારીઓ હોય છે. ટેમ્પોમાં કે ટ્રેક્ટરમાં બહારથી માલ પહેલા વેપારી જોવે છે અને હરાજી બોલાય છે. દાખલા તરીકે હરાજીમાં કોઈ એક ખેડૂતને કપાસના એક મણના 1500 રુપિયા નક્કી થાય તો તે ખેડૂતનો માલ જે તે વેપારીના જીન એટલે કે ગોડાઉન પર મોકલાય છે. અહીં કપાસના બીમાંથી તેલ, ફૂલમાંથી રૂ, પશુનો ખોરાક ખોળ બધું અલગ બને છે. બાદમાં ત્યાં માલ ઉતારવામાં આવે ત્યારે ગોડાઉન પર હાજર વેપારીના માણસો ટેમ્પા કે ટેક્ટરની અંદરનો માલ જોવે તો તે ભેજ વાળો કે ખરાબ નીકળે છે. તો પછી તેનો ભાવ ઓછો થઈ જાય છે. 1500 રુપિયા મણ નક્કી કરેલો ભાવ 1300 કે 1400 થઈ જાય છે. જેને કડદો કહેવાય છે. ભાસ્કરની ટીમ બોટાદના એ હડદડ ગામમાં પહોંચી જ્યાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. અહીં પહોંચતાં જોયું તો અજંપાભરી શાંતિ હતી. થોડો કર્ફયૂ જેવો માહોલ હતો. પોલીસનો ભારે બંદોબસ્ત હતો. પોલીસ પર પથ્થરમારો થયા બાદ પોલીસ ગામમાં રહેતા ઘરમાંથી કેટલાક નિર્દોષ લોકોને પણ ઉઠાવીને લઈ ગઈ છે. તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. તેમાં અમે એવા પરિવારને મળ્યા જેમાં વર્ષાબેન કે જેમના પતિ શામજીભાઈને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે. અમે તેમને મળ્યા તો તેમણે અમને જણાવ્યું કે, રવિવારની રજા હોવાથી હું મારા પતિ અને અમારા બે છોકરા ઘરે હતા. અમને ખબર પણ નહોતી કે અહીં આવી કોઈ સભા ભરાવાની છે. મારા ઘરવાળા તો ઘરમાં સૂતા હતા ત્યારે અચાનક 10-12 પોલીસવાળા અમારા ઘરમાં આવ્યા અને બધું ચેક કરવા લાગ્યા. અમારા ઘરના બધા રુમ, સંડાસ, બાથરુમ બધી જગ્યાએ જોયું તો અમારા ઘરમાંથી કોઈ મળ્યું નહીં. પછી મારા ઘરવાળાને કહ્યું કે, આ ભાઈને સહી કરવા પોલીસ સ્ટેશન લઈ જવાના છે. પોલીસવાળા મારા ઘરવાળાને સહી કરવાના બહાને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. અન્ય એક નિલેશભાઈ જેમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ તેમનાં પત્ની સોનલબેનને અમે મળ્યા તો તેમણે કહ્યું કે, અમે રવિવારે હીરાનું કામ કરવા ગયા હતા. અમારા ઘરની સામે જ આ બધો બનાવ બન્યો હતો. અમને ગામમાંથી ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી. પછી અમે અમારા છોકરાને વીડિયો કોલ કર્યો તો તે રડવા લાગ્યો. એટલે અમે તાત્કાલિક દોડીને ઘરે આવ્યા તો રસ્તામાં પોલીસે રોક્યા. જવા નહોતા દેતા. અમે કહ્યું કે, અમારું ઘર અંદર છે. છોકરાંલ રોવે છે એટલે અંદર આવવા દીધા. પછી અમે ઘરે આવ્યા અને થોડીવાર રહીને પોલીસ ઘરમાં આવી. મારા ઘરવાળાને કહ્યું કે, તમે સાથે ચાલો સહી કરવાની છે, એવું કહીને મારા ઘરવાળાને લઈ ગયા. પોલીસકર્મીઓ મને જેમ તેમ બોલવા લાગ્યા. જ્યારે બનાવ બન્યો ત્યારે તો મારા ઘરવાળા મારી સાથે હીરાના કારખાને હતા તેના પુરાવા પણ અમારી પાસે છે. અમારા બે છોકરા છે તેમને તાવ આવ્યો છે. અમે રવિવારના બનાવ બન્યો ત્યારના ખાધા વગરના બેઠાં છીએ. અમને કંઈ ખબર નથી પડતી કે શું કરીએ. બોટાદના ખસ ગામના કપાસની ખેતી કરતા ખેડૂત કરણસિંહ ચાવડા સાથે ભાસ્કરે વાતચીત કરી. તેમણે વ્યથા જણાવતાં કહ્યું કે, ખેડૂતો શાંતિથી આંદોલન કરતા હતા, પરંતુ તેમાં રાજકીય છેડછાડ કરવામાં આવી. મારે 35 વીઘા જમીન છે. જેમાં અમે કપાસની ખેતી કરીએ છીએ. દિવાળી માથે છે અમારે મજૂરોને રુપિયા ચૂકવવાના હોય છે એટલે હાલમાં કડદો થતો હોય તો પણ અમારે મજબૂરીમાં માલ આપી દેવો પડે છે. મોટાભાગના બધા જ ખેડૂતો સારામાં સારો કપાસ લઈને જ યાર્ડમાં જાય છે. કદાચ 5-10 ટકા એવું બને કે ખરાબ કપાસ આવી ગયો હોય. તે પણ કંઈ બધો ખરાબ નથી હોતો. પરંતુ કોઈને કોઈ બહાને હેઠળ કપાસ ખરાબ છે, ભેજવાળો છે - એવું કહીને કડદો કરવામાં આવે છે. આના કારણે બધા ખેડૂતોએ ભોગવવું પડતું હોય છે. આ કડદાના કારણે ખૂડેતો હેરાન થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાં 400 રુપિયા મણ કપાસ વેચાતો હતો. તે સમયે 400 રુપિયાની આસપાસ જ DAPની એક થેલી મળતી હતી. હાલમાં 1200-1300 રુપિયા મણ કપાસનો ભાવ થયો છે પરંતુ સામે DAP યુરીયાની થેલીના ભાવ 1700-1800 રુપિયા થઈ ગયા છે. હવે આમાં અમારા જેવા ખેડૂતોને કેમનું પોસાય? હાલમાં સરકાર ટેક્સ ડ્યુટી હટાવીને બહારથી DAP યુરિયા આયાત કરે છે. જો આ યુરિયા બહારથી આયાત ન કરવું પડયું હોત તો ખેડૂતોને કપાસના 1 મણના બે હજાર રુપિયાની આસપાસ મળી રહેત અને ખેડૂતોને પોસાય પણ ખરા. ખેતી કરવાની દવામાં અને ખાતરના ભાવ વધતા હાલમાં મોંઘવારી પણ વધતી જાય છે. સરકાર પાક વીમા હેઠળ એક હેક્ટર દીઠ 6 હજાર રુપિયાની સહાય કરે છે. મોટું નુકસાન થયું હોય તો આ 6 હજારમાં અમારું શું પૂરું થાય? કડદાને લઈને માર્કેટીંગ યાર્ડ લેખિતમાં કોઈ બાંયધરી નથી આપતું, પણ કીધું છે ખરૂં કે, કોઈ પણ વેપારી કડદો કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. કંઈક ને કંઈક આમાં રાજકારણ સંડોવાયેલું છે. જો તમામ ખેડૂતો ખરાબ કપાસ લઈને માર્કેટીંગ યાર્ડમાં જતા હોય તો આટલી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા જ ન થાય. હાલમાં ખેડૂત એટલો હેરાન અને પરેશાન છે, દેવામાં ડૂબેલો છે કે પ્રાઈવેટ સ્કૂલમાં છોકરા ભણાવી નથી શકતા. સરકાર અમારી વ્યથા સમજતી નથી. અમે બોટાદના એ માર્કેટીંગ યાર્ડમાં પણ ગયા કે જ્યાં કડદાના આક્ષેપો થઈ રહ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયાને મળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના પિતાનું અવસાન થયું હોવાથી તેઓ ન મળી શક્યા. જેથી અમે માર્કેટીંગ યાર્ડના ડીરેક્ટર દીયાળભાઈને મળ્યા. જેમણે અમને કડદા વિશે, ખેડૂતો વિશે અને વેપારીઓ વિશે વિસ્તારમાં વાત કરી અને કહ્યું કે, કોઈપણ માલફેર હોય તો તેનો ભાવફેર થાય. ચોમાસું હજી હમણા જ પૂરું થયું છે. ચોમાસાના કારણે કોઈ ખેડૂતનો કપાસ ભેજ વાળો હોય તો તેને ઓછો ભાવ મળે છે. ખેડૂત નો માલ પહેલા સવારમાં યાર્ડમાં આવે અહીં બધા એજન્ટો અને વેપારીઓ હોય છે. ટેમ્પોમાં કે ટ્રેક્ટરમાં બહારથી માલ પહેલા વેપારી જોવે છે અને હરાજી બોલાય છે. દાખલા તરીકે હરાજીમાં કોઈ એક ખેડૂતને કપાસના એક મણના 1500 રુપિયા નક્કી થાય તો તે ખેડૂતનો માલ જે તે વેપારીના જીન એટલે કે ગોડાઉન પર મોકલાય છે. અહીં કપાસમાંથી તેલ, રુ, ખોળ બધું અલગ પડે છે. બાદમાં ત્યાં માલ ઉતારવામાં આવે ત્યારે ગોડાઉન પર હાજર વેપારીના માણસો ટેમ્પા કે ટેક્ટરની અંદરનો માલ જોવે તો તે ભેજવાળો કે ખરાબ નીકળે છે. તો પછી તેનો ભાવ ઓછો થઈ જાય છે. 1500 રુપિયા મણ નક્કી કરેલો ભાવ 1300 કે 1400 થઈ જાય છે. પરંતુ જે સારો કપાસ નીકળ્યો હોય તેના તો 1500 રુપિયા લેખે જ મળે છે. ખેડૂત ફરિયાદ કરે તો યાર્ડમાંથી જે તે એજન્ટ ગોડાઉન પર માલ જોવા જાય છે કે, શું ખરેખર માલ ખરાબ છે કે નહીં. ખેડૂત એજન્ટથી પણ સંતુષ્ટ ન થવાય તો યાર્ડનો ઈન્સપેક્ટર ચેક કરવા જાય છે અને જો ચેકીંગમાં થોડો ગણો 5-10 ટકા માલ ખરાબ હોય તો અમે વેપારીને કહીને ખેડૂતનો માલ ઉતારી લઈએ છીએ. જેથી ખેડૂતને નુકસાન ન થાય. અમે ખેડૂતોનું હીત પહેલા જોઈએ છીએ. પરંતુ બધો જ માલ ખરાબ નીકળે તો તે વેપારીને પણ કેમનું પોસાય? 2015માં હાર્દિક પટેલે પાટીદાર આંદોલન કર્યું હતું, તેમ હાલમાં 2025માં AAPના આ રાજુ કરપડાને આંદોલન કરવું છે અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવી છે. આ રાજુભાઈ ખેડૂતો માટે નથી આવ્યા પોતાના રાજકારણ માટે આવ્યા છે. રાજુભાઈ કડદા વાળા 50 ખેડૂતો શોધી લાવે અમે તેમને 500 ખેડૂતો બતાવીએ વગર કડદાના.... રાજુભાઈ પોતે ટેમ્પો ચલાવીને 15 મણ કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આ કડદાનો માલ છે. રાજુ કરપડાને અહીં બોટાદમાં કોઈ લેવાદેવા નથી. ચોટીલામાં તેમનું જીન (ગોડાઉન) ચાલે છે. જો અહીં બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કડદો થાય તો સૌથી પહેલા અમને ખબર પડી જાય. ખરેખર કડદો થતો હોય તો લાખો મણ કપાસ ક્યાંથી આવે? બોટાદના યાર્ડમાં આજુબાજુના જિલ્લા અને તાલુકાના ખેડૂતોનો પણ કપાસ વાવે છે. ગઢડા, બરવાળા, રાણપુર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના ખેડૂતો કપાસ લઈને અહીં બોટાદના માર્કેટીંગ યાર્ડમાં આવે છે. જ્યારે અમારી પાસે રજૂઆત આવી ત્યારે જ અમે વેપારીઓ અને એજન્ટોને બોલાવીને કડક શબ્દોમાં સૂચના આપી દીધી હતી કે, કોઈપણ જાતનો કડદો કરશો તો કોઈપણ નોટિસ આપ્યા વગર સીધું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. હવે આ રાજુ કરપડા લેખિતમાં માંગે છે તો લેખિતમાં કોણ આપે? હાલમાં દિવાળી નજીક છે. ખેડૂતોએ મજૂરોને મજૂરી ચૂકવવાની હોય, ખાતરના અને દવાના રુપિયા કાઢવાના હોય તેવા ટાણે રાજુ કરપડાએ હુરીયો બોલાવીને હરાજી બંધ કરાવી દીધી. છતાં અમે શાંત રહ્યા, તેમને મળવા ગયા અને કહ્યું કે, અમે બધામાં સહમત છીએ. પરંતુ તેમને સમાધાન નહોતું જોઈતું અને ખેડૂતોને કહ્યું કે, તમારો બધો કપાસ અહીં યાર્ડમાં ઉતારી દો. હવે આવું કેવી રીતે શક્ય છે? યાર્ડમાં લાખો મણ કપાસ ઠલવી દેવામાં આવે પછી તેને ભરીને કેવી રીતે ગોડાઉન લઈ જવું? આ શક્ય જ નથી. હડદડ ગામના સ્થાનિક આગેવાન મયુરભાઈએ અમને જણાવ્યું કે, બોટાદ જિલ્લાના હડદડ ગામમાં જે ઘટના બની છે તે બોટાદ જિલ્લા માટે દુ:ખદ ઘટના છે. આમ આદમી પાર્ટી અને તેના નેતા રાજુ કરપડાએ જે મહાપંચાયતનું આયોજન કર્યું હતું તે હડદડ ગામથી અઢી ત્રણ કિલોમીટર દૂર માર્કેટીંગ યાર્ડમાં કર્યું હતું. પરંતુ તે લોકોએ અચાનક સભાનું લોકેશન ચેન્જ કરીને સભા હડદડ ગામમાં યોજી નાખી. આ સભાનું આયોજન જે હડદડ ગામમાં થયું હતું તે ગામના મોટાભાગના લોકો અજાણ હતા કે તેમના ગામમાં આવી કોઈ મહાપંચાયતનું આયોજન થવાનું છે. કદાચ એ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકોને ખ્યાલ હશે કે સભા થવાની છે. અહીં જ્યારે સભા ભરાઈ ત્યારે આસપાના ગામના લોકો અન્ય તાલુકા અને જિલ્લાના લોકો અહીં આવી પહોંચ્યા હતા. સભા ચાલતી હતી ત્યારે ગામના ચોકમાં જ્યાં ગ્રામ પંચાયતની ઓફિસ આવેલી છે ત્યાં પોલીસ આવી અને વાતચીત ચાલતી હતી. પોલીસ લોકોને હટાવવાનો પ્રયાસ કરી રહી હતી એટલામાં કોઈ અસાજિક તત્વોએ પથ્થરમારો શરુ કરી દીધો. આ હુમલાનું કામ આયોજનબદ્ધ તરીકે કરવામાં આવેલું છે. ગામને ખબર જ નથી તો ક્યાંથી તેઓ પથ્થર એકઠા કરે? ખેડૂતોના આ આંદોલનને રાજકીય સ્વરુપ મળતાં આંદોલનને બદનામ કરવાનો કદાચ પ્રયાસ થયો હોઈ શકે છે. સમગ્ર બનાવ મામલે અમે જિલ્લા SP ધર્મેન્દ્ર શર્માને મળ્યા અને સૌથી રાજુ કરપડા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, સમગ્ર બનાવની FIRમાં રાજુ કરપડા મુખ્ય આરોપી છે. તેમને પકડવા માટે અમે ચક્રો ગતિમાન કર્યા છે. નિર્દોષ લોકો વિશે પૂછતાં કહ્યું કે, અમે કોઈ નિર્દોષ લોકોને નથી પકડ્યા. સભામાં હાજર લોકો હતા, તેમાંથી કેટલાક લોકો ગામના હતા અને તેમાંથી પણ ખાસ કરીને કેટલાક આમ આદમી પાર્ટીના હતા. તે લોકોને ડીટેઈન કર્યા હતા પરંતુ બાદમાં ખબર પડી કે કેટલાક નિર્દોષ પણ છે તો તે લોકોને અમે છોડી દીધા હતા. હજી પણ એક પોલીસકર્મી કે જેમને માથામાં ગંભીર ઈજા થઈ છે તે હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધીમાં અમે કુલ 65 લોકોને અટકાયતમાં લીધા છે. આ લોકો સામે ગેરકાયદેસર મંડળી રચીને પૂર્વઆયોજીત કાવતરું કરવું સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થનારા પોલીસકર્મી અને ખેડૂતોએ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધી છે. જેમાંથી મોટાભાગના લોકોએ બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર લીધી છે. આ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરનાર ડો.મિલન કાંતેસરિયાને મળીને ઈજાગ્રસ્ત લોકોની ઈજા વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણને લઈ કેટલાક ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને ખેડૂતો અમારી પાસે આવ્યા હતા. જેમાં પોલીસકર્મીઓને પથ્થરના ઘા વાગવાથી ચામડી ફાટી ગઈ હતી જેના માટે ટાંકા લીધા હતા. એક પોલીસકર્મીને માઈનોર ફેક્ચર થયું હતું જેની અમે પાટાપિંડી કરી હતી. જેટલા પણ લોકોને જે કોઈ ઈજા હતી તે નોર્મલ હતી કોઈને દાખલ કરવા પડે કે ઓપરેશન કરવું પડે તેવી કોઈ સ્થિતિ નહોતી. જરુરી સારવાર કરીને તેમને સ્ટેબલ કન્ડિશનમાં આપણે ઘરે મોકલી દીધા હતા. તેવી જ રીતે કેટલાક ઈજાગ્રસ્ત ખેડૂત મિત્રો પણ અમારી પાસે સારવાર માટે આવ્યા હતા. તેમણે પણ કોઈને માથામાં, હાથમાં, પગમાં માઈનોર ફેક્ચર હતા. કેટલાકને ટાંકા લેવા પડ્યા હતા જે તમામ લોકોને પણ આપણે પ્રાથમિક સારવાર કરીને ઘરે મોકલી આપ્યા હતા. કોઈને જીવનું જોખમ થાય તેવી કોઈ ગંભીર ઈજા નહોતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 6:00 am

ગોધરામાં ઠેરઠેર ખાડા:રોડ પર ધૂળની ડમરી ઉડતા જોખમ

ગોધરા સહિત જીલ્લામાં સારો વરસાદ થતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ અવીરત વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓને ભારે નુકશાન થયુ હતુ. ગોધરા શહેરમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર મસ મોટા ખાડા પડતા તથા કપચી નિકળી જતા શહેરના રસ્તાઓને નુકસાન પહોચ્યુ છે. પાલીકા દ્વારા ડસ્ટ નાંખીને ખાડા પુરવામાં આવ્યા હતા. પરંતુ ડસ્ટથી પુરેલા ખાડામાંથી વાહન પસાર થતા ખાડામાંથી ડસ્ટ બહાર નિકળતા ખાડા પુન: ખુલી ગયા છે. જેથી નગરપાલીકા પાસે, ગાંધી પેટ્રોલ પંપ, પાંજરાપોળ, નિચવાસ બજાર, બાવાની મઢી વિસ્તાર, મોદીની વાડી વિસ્તાર, સિવિલ લાઇન્સ રોડ, બગીચા રોડ, પશ્ચિમ વિસ્તાર સહિત ઠેર ઠેર રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. અને જ્યારે વાહનો પસાર થાય ત્યારે ધુળની ડમરી ઉઠી રહી છે. જેથી લોકોની આંખમાં જતા આંખોને નુકશાન થવાનો લોકોને ડર રહેલો છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારના દિવસોનો પ્રારંભ થશે. એક બાજુ વિકાસ સપ્તાહની ઉજવણીમાં લોકોને 24 વર્ષનો વિકાસથી માહીતગાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ચોમાસામાં શહેરના ખખડધજ અને ધુળની ડમરી ઉડતા રોડનું સમારકામ કરવામાં ન આવતા વિકાસની વાતો ફક્ત કહેવા પુરતી હોય તેવુ શહેરીજનોને લાગી રહ્યુ છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:59 am

મુખ્ય વીજ કેબલ તૂટ્યો:ઉદલપુર પાસે માઇનિંગમાં બ્લાસ્ટથી ઉડેલા પથ્થરથી રેલવેનો મુખ્ય વીજ કેબલ તૂટ્યો

ગોધરાના ઉદલપુર પાસે ક્વોરી માઇનિંગમાં બ્લાસ્ટિંગથી ઉડેલા પથ્થરથી રેલ્વેનો મુખ્ય વિજ કેબલ તુટી જતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે ગ્રામજનોએ તરત જ દોડી આવીને લાલ શર્ટથી માલગાડીને રોકી દીધી હતી. રેલ્વેના અધિકારીઓ અને ટેક્નિકલ ટીમોએ કામગીરી હાથ ધરી છે. રેલ્વે લાઇનથી 100 મીટરના અંતરે આવેલી માઇનિંગમાં બ્લાસ્ટિંગથી કેબલ તુટ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. ગોધરા આણંદ રેલ્વે લાઇનથી 100 ફુટ દુર આવેલ ગોધરાના ઉદલપુર પાસેના પંડ્યાપુર ગામ પાસે મંગળવારે માઇન્સમાં બ્લાસ્ટિંગ કરતા જોરદાર અવાજ સાથે મોટા પથ્થરો હવામાં ઉછળ્યા હતાં. જેમાં ઉડેલા પથ્થર રેલ્વેની મુખ્ય લાઇન પર પડતા કેબલની સ્ટે ટ્યુબ અને બ્રેકેટ ટ્યુબ તૂટી જતા મુખ્ય વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થયો હતો. મુખ્ય લાઇનનો વિજ કેબલ તુટી જતા રેલ્વે લાઇન પર માલગાડી આવી રહી હતી. જેને ગ્રામજનો દ્વારા પહેરેલા લાલ કલરના શર્ટ ઉતારીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરતા ટ્રેન થોભી ગઇ હતી. માઈનિંગમાં બ્લાસ્ટ થતા લોકો દોડાદોડ મચી હતી. બ્લાસ્ટિંગ થતા મોટા પથ્થરો હવામાં ઉડતા કવોરીની ઓફીસને પણ નુકસાન થયું છે. રેલ્વેનો મુખ્ય વિજ કેબલ તુટી જતા સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. સમગ્ર ઘટનાને લઈને રેલવેના અધિકારીઓ અને ટેક્નિશિયનો ઘટનાસ્થળે પહોંચી વીજ કેબલને પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. લાલ શર્ટ લઇને દોડીને ટ્રેનને ઉભી રાખવાની કોશિશ કરીબ્લાસ્ટિંગથી વિજ કેબલ તુટી જતા મેં લાલ શર્ટ પહેરેલો હતો જે કાઢીને દોડીને ટ્રેનને ઉભી કરવાની પ્રયત્ન કર્યો હતો. પણ ટ્રેન 70 કિમી જેટલી ઝડપે આવતી હોવાથી ટ્રેનના પાઇલોટે ટ્રેનને રોકવાની કોશીશ કરી હતી. પણ ટ્રેન થોડી આગળ જઇને ઉભી રહેતા તાર તુટી ગયો હતો. વિજતાર તુટતા અમે લોકોને દુર ખસેડયા હતા. જેથી કોઇ જાનહાનિ થઇ નથી - અશોકભાઇ રાજગોર, ટ્રેન થોભાવનાર નવી નગરીના છાપરા પર પથ્થર પડતાં લોકોમાં ભાગદોડ મચી ભગીરથ માઇનિંગમાં બ્લાસ્ટિંગથી પથ્થરથી રેલ્વેનો વિજ કેબલ તુટી જતા ટ્રેક પર પસાર થતી માલગાડીને થોભાવી દેતાં કોઈની જાનહાનિ થવા પામી ન હતી. ભગીરથ ક્વોરીની બાજુમાં આવેલ નવી નગરીના છાપરા પર પથ્થર પડતા લોકોમાં ભાગદોડ મચી હતી. આ ક્વોરીની માઈનિંગ પાસે રેલ્વે લાઇન માત્ર 100 મીટરના અંતરે હોવાના કારણે રેલવે લાઇન પર પથ્થર પડતા વિજ કેબલ તુટી જતા કોઈ જાનહાની થઇ નથી. છેલ્લાં 5 વર્ષથી આવા બ્લાસ્ટિંગ થાય છેઆજે જે ઘટના બની છે. તે છેલ્લા 4થી 5 વર્ષથી સતત ચાલી રહી છે. માઇનિંગમાં બ્લાસ્ટિંગ કરતા પથ્થરો ગામમાં આવી ને પડે છે. જેથી ગામવાળાને નુકસાન થાય છે. જેથી માઇનિંગમાં આવી રીતે થતા બ્લાસ્ટિંગ બંધ કરવાની માંગ કરીએ છીએ. અગાઉ અમે 2-3 વાર રજૂઆત કરી હતી. પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. રીંકલ બારીઆ, ડેપ્યુટી સરપંચ

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:57 am

ખોટી વારસાઈ રદ કરાઇ:વલુન્ડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી જમીનની ખોટી વારસાઈ રદ કરાઇ

લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના એક જીવિત વૃદ્ધને કાગળ પર મૃત બતાવી તેમની જમીન પચાવી પાડવાના મામલાનો સુખદ અંત આવ્યો છે. સાત મહિનાથી ન્યાય માટે ભટકતા વૃદ્ધની વેદનાને ''દિવ્ય ભાસ્કરે'' વાચા આપ્યાના માત્ર ચાર દિવસમાં જ તંત્ર હરકતમાં આવ્યું અને પ્રાંત અધિકારીએ મામલતદારના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરી વૃદ્ધને તેમનો હક પાછો અપાવ્યો છે. લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના બીજીયાભાઇ વરસિંગભાઇ ડામોર જીવિત હોવા છતાં, કેટલાક લોકોએ તેમનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી લીમખેડા મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ખોટા દસ્તાવેજના આધારે, મામલતદારે તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ વારસાઈ નોંધ નંબર 548 મંજૂર કરી, બીજીયાભાઇની માલિકીની જમીનમાંથી તેમનું નામ કમી કરી દાહોદના અન્ય લોકોના નામે ચઢાવી દીધી હતી. બીજીયાભાઇએ સાત મહિનાથી સરકારી કચેરીના ધક્કા ખાતા હતાં જે વેદનાને ''દિવ્ય ભાસ્કરે'' પ્રસિદ્ધ કરતાં જ ત્રીજા દિવસે જ લીમખેડા પ્રાંત અધિકારી વાય. કે. વાઘેલાએ આ કેસનો નિકાલ કરી પોતાના હુકમમાં જણાવ્યું કે, અરજદાર (બીજીયાભાઇ)ની અપીલ મંજૂર કરવામાં આવે છે. વલુન્ડીના ખાતા નંબર 15 અને 158ની જમીનમાં દાખલ કરાયેલી વારસાઈ નોંધ નંબર 548 મંજૂર કરતો મામલતદાર, લીમખેડાનો નિર્ણય રદ કરવામાં આવે છે અને દાખલ કરવામાં આવેલી વારસાઇ અંગેની નોંધ 548 નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. પ્રાંત કચેરીમાંથી પોતાના પક્ષમાં ચુકાદો આવતા જ બીજીયાભાઇ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેમણે ગળગળા સ્વરે પોતાનો હક પાછો અપાવવા બદલ ''દિવ્ય ભાસ્કર''નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અમારો હક અપાવવા બદલ દિવ્ય ભાસ્કરનો આભાર મારો ખોટો મરણ નો દાખલો મૂકી અને વરસાઈ કરી મારી જમીન પચાવી પાડવામાં આવી હતી. એ બાબતના સમાચાર દિવ્ય ભાસ્કરમાં 11મી તારીખે પ્રસિદ્ધ થયા બાદ લીમખેડા પ્રાંત સાહેબ દ્વારા ફક્ત ત્રણ જ દિવસ માં અમારી તરફેણમાં હુકમ કર્યો હતો. અમને અમારે હક અપાવવા બદલ દિવ્ય ભાસ્કરનો ખુબ-ખુબ આભાર - બીજીયાભાઈ ડામોર,હક પાછો મેળવનાર

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:55 am

જગદીશ પંચાલની એક જ વાત... મિત્રો, મિત્રો અને મિત્રો!:વિસ્તરણ પહેલા BJPના નેતાઓ ઉંચા નીચા થઈ ગયા; કોંગ્રેસના નેતાને કેનેડામાં જલસા, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:55 am

મોકડ્રિલ:કેવડિયામાં વડાપ્રધાનના આગમન પહેલાં મોકડ્રિલ

રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નદી મારફતે ક્રૂઝ દ્વારા બે આતંકવાદીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્લાઝા પોઇન્ટ મેઈન ગેટ તરફ ઘુસી જઈને ફાયરીંગ કરી ગ્રેનેડ બ્લાસ્ટ કર્યુ હતુ આ વિસ્ફોટ ઘટનાની માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તથા જિલ્લા વહીવટી તંત્રને મળતા તાત્કાલિક નર્મદા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા સંબંધીત અધિકારીઓને સૂચિત કરતાં પોલીસ, ફાયર, આરોગ્ય તેમજ અન્ય તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.SOU ના ગેટ નંબર-3 પાસે એસઓજી, એલસીબીના, બીડીડીએસના અધિકારીઓને અને તેમની ટીમને ઓપરેશન કમાન્ડન્ટ દ્વારા આ ઘટના અંગેની માહિતી અને કામગીરી અંગે બ્રિફિંગ આપવામાં આવ્યું હતું . જે આધારે ગાંધીનગર ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદીઓને ન્યુટ્રલાઈઝ કરવાની પોલિસ વિભાગની અલગ અલગ ટિમોને જણાવવામાં આવ્યુ હતું. આંકવાદીઓ દ્વારા ત્યાં ફરજ બજાવતા સી.આઈ.એસ.એફ ના જવાનોને ઘાયલ કર્યા હતાં. ત્યારબાદ કમાન્ડો ટીમે સરદાર કક્ષાની અંદર પ્રવેશી “આતંકવાદીઓ”ને કાબૂમાં લઈ, બંધક બનાવેલ બે કર્મચારીઓને છોડાવ્યા હતાં. ઘટના સ્થળે હાજર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં પ્રાથમિક ચેકઅપ અને સારવારની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ સમગ્ર ડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સીઆઇએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અભીષેક સાહુએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અનુલક્ષીને યોજાયેલી આ મહત્વપૂર્ણ મોકડ્રિલ દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો સંવાદ, કોર્ડિનેશન અને સમયસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:26 am

અભ્યાસક્રમમાં વિલંબ:ભરૂચની સરકારી ઇજનેરી કોલેજમાં કોમ્પ્યૂટર વિભાગમાં 3 વર્ષથી પ્રાધ્યાપકની જગ્યા ખાલી

ભરૂચ સરકારી ઇજનેરી કોલેજમાં કમ્પ્યુટર ઈજનેરી વિભાગમાં અધ્યાપક અને લેબ આસિસ્ટન્ટ કર્મચારીઓ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. સરકારી ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ સરકારી ઈજનેરી કોલેજમા ત્રણ વર્ષ અગાઉ કમ્પ્યુટર ઇજનેરીની 60 બેઠકો ફાળવવામાં આવી હતી જેથી હાલ 60 જેટલા વિદ્યાર્થીઓ સ્નાતક ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ઇજનેરી કોલેજમાં કમ્પ્યુટર ઈજનેરી વિભાગમાં અધ્યાપક અને લેબ આસિસ્ટન્ટ કર્મચારીઓ ઉપલબ્ધ નથી. આ અંગે અનેક વખત વડી કચેરી તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગ ને લેખિત અને મૌખિક રજૂઆત છતાં અત્યાર સુધી કોઈ નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે વિદ્યાર્થીઓ ના ભણતર પ્રયોગશાળાના કામકાજ તેમજ પ્રોજેક્ટ માર્ગદર્શનમાં ગંભીર અછત અનુભવાઈ રહી છે. સ્ટાફની અછતના કારણે નિયમિત લેકચર અને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વિલંબ થાય છે.પરિણામે વિદ્યાર્થીઓ ના ભણતર પ્રયોગશાળાના કામકાજ તેમજ પ્રોજેક્ટ માર્ગદર્શનમાં ગંભીર અછત અનુભવાઈ રહી છે. પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ કાર્યમાં અવરોધ સાથે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસમાં ઘટ તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગની શૈક્ષણિક પ્રતિષ્ઠા અને માન્યતા પર નકારાત્મક અસર પડી રહી છે. ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક પગલાં લઈ તે જરૂરી બન્યું છે. અધ્યાપકો શિક્ષણ કાર્ય સાથે બિન- શૈક્ષણિક કામ કરવા મજબૂર થયાં સંસ્થામાં વહીવટી કામગીરી માટે ક્લાર્ક, સ્ટોર ઓફિસર, નિયમિત લાઈબ્રેરીયન, લેબ આસિસ્ટન્ટ અને અન્ય લિંપિક વર્ગના એક પણ કર્મચારીઓ લાંબા સમયથી ના હોવાથી યેનકેન પ્રકારે કોલેજના અધ્યાપકો શિક્ષણ કાર્ય સાથે બધી બિન-શૈક્ષણિક જવાબદારી નિભાવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પુસ્તકાલયના સંસાધનો વાપરવામાં દૈનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:24 am

દુષ્કર્મ:તિલકવાડાના એક ગામના સગીરે સગીરાને ભગાડી દુષ્કર્મ આચર્યું

નર્મદા જિલ્લામાં બે સગીર વયના કિશોરોએ એક સગીર વયની સ્થાનિક કિશોરી સાથે દુષ્કર્મ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તિલકવાડા પોલીસ સ્ટેશનમાં બંને સગીરો વિરુદ્ધ ગુનો નોંઘી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તિલકવાડા તાલુકાના એક ગામ માં એક જ ફળીયા માં સામ સામે ઘરો માં રહેતા 14 થી 15 વર્ષના કિશોરે સામે રહેતી સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી તેને લગ્ન ની લાલચે તેના અન્ય એક મિત્ર ની મદદ લઈને સગીરાને વાલી પણામાંથી ભગાડી જઈ પત્ની તરીકે રાખી અવાર નવાર દુસ્કર્મ આચર્યું હતું જે બાબત ની તિલકવાડા પોલીસ માં ફરિયાદ નોંધાતા પી.આઈ એસ.કે.ગામીતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.નર્મદા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં સગીરા ભગાડી જનારા તેમજ દુષ્કર્મના કિસ્સાઓ ઘણા વધી ગયા છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:23 am

ચર્ચા-વિચારણા બેઠક:રાજ્યના મુખ્ય સચિવે કેવડિયામાં એકતા પરેડ અંગેની માહિતી મેળવી સૂચનો કર્યા

કેવડિયામાં 30 અને 31મી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયાં છે. તેમની હાજરીમાં એકતા પરેડ સહિતના કાર્યક્રમો યોજવાના છે. રાજયના મુખ્ય સચિવ પંકજ જોષીએ રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા કરી હતી. એસપી વિશાખા ડબરાલેસમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી આપી હતી. પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ, ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્રતયા સુચારૂ કાર્યક્રમ અંગે મુખ્ય સચિવે વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતાં.સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. મુકેશપુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતાં. પ્રકાશપર્વ તેમજ આરંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં પાર્કિંગ, ટ્રાફિકનિયમન, આમંત્રણ પત્રિકા, બેઠક વ્યવસ્થા, લાઈટ, પાણી, સ્વચ્છતા, રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા-વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કેવડિયામાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઈ છે. જેની સલામી વડાપ્રધાન ઝીલતા હોય છે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:21 am

ડ્રોન ઝોન જાહેર:નર્મદા જિલ્લાના કેટલાંક વિસ્તારો નો ડ્રોન ઝોન

નર્મદા જિલ્લાના 49 જેટલા નિર્દિષ્ટ ઝોન પૈકી 29 રેડ ઝોન અને 20 યલો ઝોન જાહેર કર્યા છે. જેથી જાહેર હિત અને રાજ્યની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લામાં આવેલા ક્રિટિકલ/ સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા 49 ઈન્સ્ટોલેશન્સને નો ડ્રોન ઝોન જાહેર કરી આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન ઓપરેટને કરવા પર મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી. કે. ઉંધાડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની અમલવારી 12મી ડિસેમ્બર 2025 સુધી કરવાની રહેશે. પોલીસ વિભાગના, સુરક્ષાબળોના તેમજ પોલીસ વિભાગ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી મળેલી પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:16 am

રિમોડેલિંગનું કાર્ય:15 ઓક્ટોબરની હાપા - નાહરલાગુન સ્પેશિયલ હવે નિર્ધારિત માર્ગ પર ચાલશે

પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝન પર સ્થિત ઉજ્જૈન યાર્ડમાં ચાલી રહેલું રિમોડેલિંગનું કાર્ય આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ મહત્વપૂર્ણ કાર્યને કારણે, ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલને આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે કાર્ય પૂર્ણ થવાને કારણે, 15 ઓક્ટોબર, 2025ના રોજ ઉપડનારી આ સ્પેશિયલ ટ્રેન તેના પૂર્વ નિર્ધારિત માર્ગ પરથી જ ચાલશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ આ નવીનતમ ફેરફારને ધ્યાનમાં રાખે અને તે મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરવા ટ્રેનોના સંચાલન સંબંધિત માહિતી માટે મુસાફરો વેબસાઇટ જોતા રહે જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:09 am

ફટાકડાનુ વેચાણ:સુરેન્દ્રનગરમાં ફટાકડાં વેચાણની 26માંથી એકપણ‎અરજી મંજૂર નહીં છતાં 50થી વધુ સ્થળે વેચાણ શરૂ‎

સુરેન્દ્રનગરમાં દિવાળીને લઇ ફટાકડાં વેચવા માટે અત્યારસુધીમાં માત્ર 26 વેપારીઓએ અરજી કરી છે. તેની સામે હાલ ઠેરઠેર છૂટક વેચાણ કરતી 50થી વધુ હાટડીઓ ધમધમવા લાગી છે. આવેલી અરજીઓ અંગે સ્થળ ચેકિંગ બાદ ફાયર વિભાગ એનઓસી આપશે. ગત વર્ષે 28 અરજી આવી હતી. દિવાળી પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે. ફટકડાંના 26 વેપારીઓ દ્વારા પ્રાંતમાં ઓનલાઇન અરજી કરી છે. જેનું તંત્ર દ્વારા ચેકિંગ કર્યા બાદ નિયમોનુ જો પાલન થતુ હોય તો જ એનઓસી અપાય છે.પરંતુ શહેરમાં લોકો વગર મંજુરીએ જ ફટાકડાનુ વેચાણ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં બજાર વિસ્તાર ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં, મુખ્ય માર્ગો પર મુખ્ય બજાર ગણાતા રસ્તાઓ મહેતા માર્કેટ, પતરાવાળી ચોક, હેન્ડલુમ રોડ સહિતના રસ્તે નાના મોટા વેપારીઓ દ્વારા લારીઓમાં ફટાકડા વેચાણ કરતા હોવાનુ જોવા મળી રહ્યુ છે. ફાયર વિભાગની 45 કર્મીની ટીમ તૈનાત રહેશેફાયર વિભાગ 2200 લીટરની ક્ષમતાના 2 નાના અને 12000 લીટરની ક્ષમતાના 5 મોટા ફાયર ફાઇટરો તૈયાર કરાય છે. 12 ફાયરમેન અને 8 ડ્રાઇવરો સહિત 45લોકોનીની ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈયાર રહેશે. 02752-282250માં સંપર્ક કરવાનો રહેશે. > દેવાંગભાઇ દુધરેજીયા, ફાયર વિભાગ આ તકેદારી રાખવી પડશેસુરેન્દ્રનગરમાં માત્ર 26 ઓનલાઇન અરજી થઇ છે. જેમાં ફાયર સેફ્ટી કિટ (પાણી, રેતીની ડોલની વ્યવસ્થા) તથા ફાયરસેફ્ટી સ્પ્રે બોટલની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે. જે યોગ્ય હશે તો જ અનુમતી અપાય છે. લાયસન્સ વિના શેડ બાંધી વેચાણ કરનારા દંડાશેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝાએ જાહેર કરેલા પ્રસિદ્ધનામામાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 સુધી જ ફટકડાં ફોડી શકાશે. હંગામી લાયસન્સ લીધા વિના વેન્ડર, લારી-ગલ્લાધારકો શેડ બાંધશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે. સુરેન્દ્રનગરમાં ફટાકડાં વેચાણની 26માંથી એકપણ અરજી મંજૂર નહીં છતાં 50થી વધુ સ્થળે વેચાણ શરૂ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડાંનું વેચાણ શરૂ થઇ ગયું.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:08 am

યુવાનનું મોત:વઢવાણ ધોળીપોળ દરવાજા અંદર વીજશોકથી યુવાનનું મોત

મૂળ પાટડી-દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના અને હાલ વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈના એકના એક દીકરા 45 વર્ષના ચાવડા રમેશભાઈ પરસોત્તમભાઈ ધોળીપોળ દરવાજા અંદર કોઇ અગમ્ય કારણોસર વીજશોક લાગ્યો હતો. બનાવની જાણ થતા લોકોના ટોળાટેળા એકઠા થઇ ગયા હતા. જ્યારે પીજીવીસીએલને જાણ થતા આ વિસ્તારમાં વીજપુરવઠો પણ બંધ કરી દેવાયો હતો. વીજશોકના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા રમેશભાઈને ગાંધી હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. મૃતક રમેશભાઈને સંતાનમાં 2 દીકરી, 1 દીકરો હોવાની વિગતો બહાર આવી હતી. મૃતકના પીએમ માટેની ગાંધી હોસ્પિટલમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજી તરફ રમેશભાઇના મોતના બનાવમાં સાચી હકીકત પોલીસ ફરિયાદ તેમજ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:03 am

ભાસ્કર એનાલિસિસ:જિલ્લામાં 2.90 લાખ હેક્ટર ખરીફ વાવેતરનો 5 વર્ષનો રેકોર્ડ

મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે ખરીફ સિઝનમાં 2,79,959 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ હતો. તેની સામે 2,90,203 હેક્ટરમાં વાવેતર થયું છે. આ વાવેતરે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ અગાઉ 2020 માં 2,92,300 હેક્ટર જમીનમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું હતું. જિલ્લામાં સૌથી વધુ 1,28,422 હેક્ટર જમીનમાં તેલિબિયાં પાકોનું વાવેતર થયું છે. જે પૈકી દિવેલાનું વાવેતર 1,02,954 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે, કુલ વાવેતરમાં 35% હિસ્સો દિવેલાનો રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં સતત વરસાદના કારણે પાક પેટર્ન બદલાતાં આ સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત તેલિબિયાં પાકોમાં મગફળીનું 24,727, તલનું 725 અને સોયાબીનનું 16 હેક્ટરમાં વાવેતર થયું છે. 12537 હેક્ટરમાં થયેલા કઠોળ પાકના વાવેતરમાં અડદનું 6938, તુવેરનું 2953, મગનું 1272, મઠનું 1363 અને અન્ય કઠોળ પાકોનું 11 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ધાન્ય પાકોનું 12,277 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ડાંગરનું 9761, બાજરીનું 2213, મકાઇનું 284 અને જુવારનું 19 હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત કપાસનું 27815, ગુવારનું 12185, શાકભાજીનું 13966, ઘાસચારાનું 79031, વરીયાળીનું 3417, શણનું 550 અને અન્ય પાકોનું 14 હેક્ટરમાં વાવેતર થયું છે. 10 તાલુકામાં અંદાજ સામે વાવેતરની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાજસ્થાનમાં બસમાં આગ, 15 ભડથું; હરિયાણામાં IPS પછી IASએ આત્મહત્યા કરી, ચાંદીનો ભાવ અઠવાડિયાંમાં 28 હજાર વધ્યો

નમસ્તે, કાલના મોટા સમાચાર રાજસ્થાનમાં ચાલતી બસમાં આગ લાગવા અંગેના હતા, જેમાં 20 લોકોનાં મોત થયા. બીજા મોટા સમાચાર એક સપ્તાહમાં ચાંદીની કિંમત 28659 રૂપિયા વધી એ અંગેના રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મારું બૂથ, સૌથી મજબૂત પહેલના ભાગ રૂપે પીએમ મોદી બિહારમાં ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે 2. જાપાન નવા વડા પ્રધાનની પસંદગી માટે સંસદમાં મતદાન થશે. શાસક એલડીપી પાર્ટીના સના તાકાઈચીનું વડાં પ્રધાન બનવાનું નિશ્ચિત છે. 3. સોનમ વાંગચુકની મુક્તિની માંગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. જેસલમેરમાં AC બસમાં વિકરાળ આગ:કલેક્ટરે કહ્યું- ગાડીમાં ફક્ત મૃતદેહો, બસ એટલી ગરમ છે કે લોકોને બહાર કાઢવા મુશ્કેલ; 15થી વધુનાં મોતની આશંકા રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે બપોરે 3:30 વાગ્યે એક ચાલતી AC સ્લીપર બસમાં આગ લાગી. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને લોકો બચવા માટે ચાલતી બસમાંથી કૂદી પડ્યા. આ અકસ્માતમાં બે બાળકો અને ચાર મહિલાઓ સહિત 16 લોકો દાઝી ગયા. ત્રણ એમ્બ્યુલન્સ ઘાયલ મુસાફરોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાંથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા. મોટાભાગના મુસાફરો 70 ટકા સુધી દાઝી ગયા હતા. બસમાં 57 મુસાફરો હતા. મ્યુનિસિપલ કાઉન્સિલના સહાયક ફાયર ઓફિસર કૃષ્ણપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અકસ્માતમાં 10-12 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શંકા. પ્રત્યક્ષદર્શીઓ અને ફાયર ફાઈટરોનું માનવું છે કે મૃત્યુઆંક 15થી વધુ હોઈ શકે છે. બસ એટલી ગરમ છે કે મૃતદેહોને બહાર કાઢી શકાતા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહાર ચૂંટણી: ભાજપે 71 ઉમેદવારોની યાદી જાહેર કરી:નવ મહિલાઓને ટિકિટ આપવામાં આવી; સમ્રાટ ચૌધરી તારાપુરથી અને મંગલ પાંડે સિવાનથી ચૂંટણી લડશે ભાજપે મંગળવારે બિહાર ચૂંટણી માટે 71 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. જેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને તારાપુર અને મંત્રી મંગલ પાંડેને સિવાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવની ટિકિટ રદ કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે: બેતિયાથી રેણુ દેવી, પરેહરથી ગાયત્રી દેવી, નરપતગંજથી દેવાંતી યાદવ, કિશનગંજથી સ્વીટી સિંહ, પ્રાણપુરથી નિશા સિંહ અને કોઈરાથી કવિતા દેવી. ઉમેદવારોમાં ઔરાઈથી રમા નિષાદ, વારિસાલીગંજથી અરુણા દેવી અને જમુઈથી શ્રેયસી સિંહનો સમાવેશ થાય છે. ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં 9 અને 11 નવેમ્બરે મતદાન થશે, અને 14 નવેમ્બરે પરિણામો જાહેર થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પુષ્ય નક્ષત્રના દિવસે સોનું-ચાંદી ઓલ ટાઈમ હાઈ:સોનું પહેલીવાર 1.25 લાખને પાર, ₹1527 મોંઘુ થયું, ચાંદીનો ભાવ ₹850 વધીને ₹1.76 લાખ પહોંચ્યો આજે (13 ઓક્ટોબર) પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોનાનો ભાવ પહેલી વાર 1.25 લાખ રૂપિયાને પાર કરી ગયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,527 રૂપિયા વધીને 1,25,682 રૂપિયા થયો છે. અગાઉ, સોમવારે તે 1,24,155 રૂપિયા હતો. આ દરમિયાન ચાંદીનો ભાવ ₹850 વધીને ₹1,76,175 પ્રતિ કિલોની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. સોમવારે તે ₹1,75,325 પર હતો. એક્સપર્ટ્સ પ્રમાણે, ફેસ્ટિવલ સીઝન, ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ અને ગ્લોબલ સ્તર પર સપ્લાઈ ઓછી અને માગ વધવાના કારણે ચાંદીની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. હરિયાણા પોલીસના ASIએ આત્મહત્યા કરી:મરતા પહેલા વીડિયો બનાવ્યો,કહ્યું- ભ્રષ્ટાચાર કેસમાં બદનામીના ડરથી IPS પૂરણે આત્મહત્યા કરી હરિયાણાના રોહતકના સાયબર સેલમાં તહેનાત ASI સંદીપ કુમારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. તેમનો મૃતદેહ લધહોત-ધામાડ રોડ પરના એક ફાર્મહાઉસમાંથી મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમણે મરતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. મૃતક ASIએ પોતાની સુસાઇડ નોટમાં સ્વર્ગસ્થ IPS અધિકારી વાય. પૂરણ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે વાય. પૂરણ કુમાર ભ્રષ્ટાચારમાં ડુબેલા હતા અને જાતિવાદનો ઉપયોગ કરીને સિસ્ટમને હાઇજેક કરી રહ્યા હતા. ASIએ સ્વર્ગસ્થ IPS અધિકારી વાય. પૂરણ કુમાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચાર કેસમાં બદનામીના ડરથી પૂરણ કુમારે આત્મહત્યા કરી હતી.જોકે, પોલીસે સુસાઇડ નોટ કે વીડિયોની પુષ્ટિ કરી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર ચાર દિવસ પહેલાં હરિયાણાના ADGPએ આત્મહત્યા કરી હતી. તેના સમાચાર અહિ વાંચો... વાંચો સંપૂર્ણ સમાચાર 5. દિલ્હીની હવા ખરાબ, પ્રદૂષણ રોકવા સ્ટેજ 1નાં ઉપાય લાગુ:MP-રાજસ્થાનમાં તાપમાન 15C સુધી પહોંચ્યું, દેશમાં 110 વર્ષની ત્રીજી સૌથી વધુ ઠંડી પડશે મંગળવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ થઈ, જેના કારણે આ સિઝનમાં પહેલીવાર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-1) પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા. આ પગલાંમાં બાંધકામ સ્થળોએ ધૂળને નિયંત્રિત કરવી, કચરો ખુલ્લામાં બાળવા પર પ્રતિબંધ મૂકવો અને નિયમિત રસ્તાની સફાઈનો સમાવેશ થાય છે. આજે, દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા ઈન્ડેક્સ (AQI) 211 નોંધવામાં આવ્યો હતો, જે 'ખરાબ' કેટેગરીમાં આવે છે. આ વર્ષે દેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે, કારણ કે હિમાલયના ઉપરના ભાગનો 86% ભાગ નિર્ધારિત સમય કરતા બે મહિના પહેલા બરફથી ઢંકાયેલો છે. તાજેતરના પશ્ચિમી ડિસ્ટર્બન્સનાં કારણે, હિમાલયમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વડોદરામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ:જગદીશ વિશ્વકર્મા બાઈક પર બેસી કાર્યક્રમમાં પહોંચ્યા, CMએ કહ્યું- સ્વદેશીમાં આપણી તાપાક, તેનાથી આત્મનિર્ભર બનીશું વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિવાદન સમારોહ પહેલા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા ખાતે પ્રદેશ પ્રમુખનું જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી 2000 બાઇક સાથેની રેલી નીકળી હતી. જગદીશ વિશ્વકર્મા બાઈક પર બેસીને સમારોહ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રેલી દરમિયાન રસ્તામાં લાગેલા બેરિકેટિંગ ન ખોલતા એક વાહનચાલક ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતા જોવા મળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગોધરા નજીક રેલવે એન્જિન પર કડાકા-ભડાકા, VIDEO:માલગાડીને રોકવા લોકોએ લાલ કપડાં કાઢી ઝંડા લહેરાવ્યા, માઈન્સ બ્લાસ્ટમાં પથ્થરથી ઓવરહેડ વીજકેબલ તૂટ્યા બાદ બનાવ ગોધરાના ઉદલપુર નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં રેલવેની વીજલાઈન એક માઈન્સની બ્લાસ્ટિંગ બાદ ઉછળેલા પથ્થરના કારણે તૂટી હતી. દરમિયાન ત્યાં હાજર લોકોએ જેમણે લાલ કપડાં પહેર્યા હતા એ કાઢીને ઝંડી બનાવીને માલગાડીને રોકવા માટે લહેરાવી હતી. જોકે, માલગાડીની સ્પીડ વધારે હોવાથી રોકાવામાં વાર લાગી હતી. આ પહેલાં એન્જિન પર કડાકા-ભડાકા થયા હતા અને વીજલાઈન વધારે તૂટી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદીઓ ઠાર:12 કલાક ચાલેલાં એન્કાઉન્ટરમાં માર્યા ગયાં, LoC પર ઘૂસણખોરીની કોશિશ અસફળ રહી; સર્ચિંગ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું- અફઘાનિસ્તાન સાથે દુશ્મનીભર્યું વાતાવરણ:ફરી સંઘર્ષ થઈ શકે છે; બંને દેશોની સેનાઓ એલર્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભારતમાં આ 3 કફ સિરપ સામે WHOની ચેતવણી:એનાથી જીવને જોખમ; આમાં કોલ્ડ્રિફ પણ સામેલ, જેનાથી MPમાં 25 બાળકનાં મોત થયાં વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ‘ભારત-PAK હવે હળીમળીને રહેશે’:ટ્રમ્પે PAK PMને પૂછ્યું, આવું થશે ને? ટ્રમ્પે મોદી અને ભારતનાં વખાણ કર્યાં તો સ્ટેજ પર ઊભેલા શાહબાઝ શરીફ જોતા જ રહી ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ગુગલ ભારતમાં ₹1.33 લાખ કરોડનું રોકાણ કરશે:આંધ્રપ્રદેશમાં પ્રથમ AI હબ બનશે; CEO પિચાઈએ PM મોદી સાથે વાત કરી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : શ્રીકાંતે કહ્યું- હર્ષિત રાણા કોચની પ્રશંસા કરીને સિલેક્ટ થયો:ગંભીરનો જવાબ- હર્ષિતના પિતા સિલેક્ટર નથી, તે પોતાના દમ પર ટીમમાં આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : 20 ઓક્ટોબરે દિવાળી:ભગવાન વિષ્ણુના ચરણ પાસે મહાલક્ષ્મી કેમ બેઠેલા દેખાય છે? આ ચિત્રમાંથી શીખો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ​​​​​​​પ્રયાગરાજમાં વાંદરાએ 500 રૂપિયાની નોટો ઉડાવી પ્રયાગરાજના સોરાંવ તાલુકામાં એક વાનર ઝાડ પરથી 500-500 રૂપિયાની નોટો વરસાવવા લાગ્યો. પૈસા પડતા જોઈને લોકો દોડીને ત્યાં પહોંચ્યા અને નોટ વીણવા લાગ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, વાનર જમીનની રજિસ્ટ્રી કરાવવા આવેલા એક વેપારીના એક લાખ રૂપિયા ઝૂંટવીને ઝાડ પર ચડી ગયો હતો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ​​​​​​​Editor’s View : શરીફે ચાપલુસીની હદ વટાવી:ટ્રમ્પને શાંતિદૂત ગણાવી દીધા, મોદીએ ઈજિપ્ત ન જઈને સણસણતો જવાબ આપ્યો; તુર્કીના રાષ્ટ્રપતિની મેલોનીને સ્મોકિંગ છોડવાની સલાહ 2. અકસ્માત, મોત, સળગેલી લાશ અને બેસણાનું નાટક:પોલીસે અનિલના કેસની ફાઇલ બંધ કરી દીધી, 17 વર્ષ પછી રહસ્ય પરથી કેવી રીતે પડદો ઊંચકાયો? 3. 'હું SRKની ટીમમાંથી બોલું છું, તમારે પર્ફોર્મ કરવાનું છે’:ફિલ્મફેરની આગલી સવારે અમદાવાદના 6 યુવાનને ફોન આવ્યો; 5 કલાક રિહર્સલ અને લાઇવ એક્ટના અનુભવ જણાવ્યા 4. મહિલા પત્રકારોએ કહ્યું- સરકારે નહીં, અમે તાલિબાનને ઝુકાવ્યું:ભારતમાં ઇસ્લામિક વિચારધારા નહીં ચાલે; આ દિલ્હી છે, કાબુલ નહીં 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : દુર્ગાપુર ગેંગરેપ-પીડિતાના પિતાએ કહ્યું, મિત્ર પર શંકા:પુત્રીને છોડીને કેમ ભાગ્યો, આરોપીની પત્નીએ કહ્યું- પતિ ઘરે હતો, રેપ કેવી રીતે કર્યો? 6. આજનું એક્સપ્લેનર:ચીને અમેરિકાની કઈ દુખતી નસ દબાવી રાખી છે; 100% ટેરિફ લાદવાના ત્રીજા દિવસે ટ્રમ્પ નરમ પડ્યા, કહ્યું- આદરણીય જિનપિંગ! કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ ​​​​​​​બુધવારનું રાશિફળ:તુલા રાશિના લોકો માટે સમય માન-પ્રતિષ્ઠા વર્ધક રહેશે, વૃષભ જાતકોને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે​​​​​​​...(સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 5:00 am

પાણીની અછત:ટીબી રોડ પરની આનંદપાર્કમાં છ મહિનાથી પૂરતું પાણી મળતું નથી

મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં આવેલી આનંદપાર્ક કો-ઓપ. હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી પૂરતું પ્રમાણમાં મળતું નથી. પરિણામે રહીશોને ઘરના કામકાજમાં પાણીની અછત ભોગવવી પડી રહી છે. આનંદપાર્કની મહિલાઓએ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખામાં પીવાના પાણીની સમસ્યા અંગે લેખિત રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં પાણી ખૂબ જ ધીમું આવે છે. જેથી પાણીનો પુરવઠો પૂરતો મળતો નથી અને બધા જ પરિવારો હેરાન થાય છે. પાણી સપ્લાયમાં ખામી હોય તો સુધાર કરાવો . ઘર વપરાશમાં પાણીની ઘટ વર્તાઇ રહી છે. દિવાળીમાં પાણી પૂરતા ફોર્સથી આપવા વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 4:56 am

રસ્તો બંધ કરી દેવાયો:તોરણવાળી ચોકમાં એક સાઈડ લારીઓ ખદેડી વાહનો માટે રસ્તો બંધ કરી દેવાયો

દિવાળીના તહેવારો નજીક આવતાં મહેસાણા શહેરના હાર્દસમા તોરણવાળી બજાર ચોકમાં સાંજ પડતાં જ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે. બીજી બાજુ, અહીં સતત વાહનોનો પણ ધસારો રહેતો હોવાથી ખરીદી માટે આ વતાં લોકોને અગવડ ના પડે એટલા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આઝાદ ચોકથી તોરણવાળી ચોકમાં આવતા રસ્તાની સાઈડ બેરીકેટ મૂકીને બંધ કરવામાં આ વી છે. આ જ રીતે જૂના રેલ્વે સ્ટેશન સાઈડ પણ બેરીકેટ મૂકીને વાહન માટે તોરણવાળી ચોક તરફનો રસ્તો બંધ કરાયો હતો. આ પહેલાં તંત્ર દ્વારા તોરણવાળી ચોકમાં એક સાઈડ લારીઓ ખદેડવામાં આવી હતી અને વાહનો માટે રસ્તો બંધ કરી દેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Oct 2025 4:55 am