SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

ગોધરા SP કચેરીમાં 'જન સંપર્ક કેન્દ્ર' કાર્યરત:અરજદારોની સુવિધા માટે ડૉ. હરેશ દુધાતે કર્યું ઉદ્ઘાટન

પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગોધરા SP કચેરી ખાતે અરજદારોની સુવિધા માટે 'જન સંપર્ક કેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના હસ્તે આ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો છે. ગોધરા સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવતા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરાશે. 'જન સંપર્ક કેન્દ્ર' દ્વારા અરજદારોને કયા વિભાગમાં અને કયા અધિકારીને મળવું તેની સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે. તેમની રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તે માટે પણ અહીં ખાસ સ્ટાફ તૈનાત રહેશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે, જેથી અરજીઓ કે રજૂઆતો કરવામાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:55 pm

ભલા મોરી રામા ગીત પર ભૂરી નાચી:નેહરાએ ઉઘાડા પગે આંટા માર્યા, દાંતણ કરતો દેખાયો; જયસ્વાલે ફિફ્ટી કરી કોને બેટ બતાવ્યું?

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:55 pm

વેરાવળમાંથી પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:એલસીબી ટીમે હ્યુમન સોર્સીસની મદદથી પકડ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના એક નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જુનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. રાજપુતના નેતૃત્વ હેઠળ ટીમે વેરાવળ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સીસની મદદથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 830/26 હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 92(2) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડેલા આરોપીની ઓળખ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ સુતાર ખારવા (ઉંમર 54, રહે. વેરાવળ, ભાલકા વિસ્તાર, કામનાથ સોસાયટી પાસે) તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી લોકોમાં આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:51 pm

આવતીકાલે વેરાવળમાં વીજ પુરવઠો ખોરવાશે:પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય, 11 કેવી વિદ્યુત નગર ફીડરના વિસ્તારો પ્રભાવિત

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા પ્રી-મોન્સૂન સમારકામ અને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે ગુરુવાર, 09/04/2026 ના રોજ સવારે 09:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપ 11 કેવી વિદ્યુત નગર ફીડર હેઠળ આવતા વિસ્તારોને અસર કરશે. જેમાં 60 ફૂટ રોડ, 66kV પાછળનો એરિયા, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર -2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો એરિયા, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી, જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક, સાઈધામ સોસાયટી અને ગોકુલધામ સોસાયટીનો સમાવેશ થાય છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:47 pm

હાઈકોર્ટે બે આરોપીઓની આજીવન કારાવાસની સજા રદ્દ કરી:મૃતકે આરોપીની બહેનના લગ્ન નક્કી કરાવ્યા અને સામે પક્ષે યુવકના ચોથા લગ્નની વાત છૂપાવ્યાનો આક્ષેપ

વર્ષ 2013માં બોટાદની સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન સાબિત કરવામાં અને શંકા રહિત કેસ સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે સેશન્સ કોર્ટના હુકમની રદ કરવામાં આવે છે. ધીરુભાઈ આરોપીની બહેનના લગ્ન નક્કી કરાવ્યા હતાઆ કેસને વિગતે જોતા બે આરોપીઓ પૈકી એક આરોપીની બહેનના લગ્ન પ્રવીણભાઈ નામના વ્યક્તિ જોડે નક્કી થયા હતા. આ સગુ કરાવનાર વ્યક્તિ ધીરુભાઈ હતા. ધીરુભાઈએ આરોપીને કહ્યું હતું કે પ્રવીણભાઈના આ બીજા લગ્ન છે. જો કે આરોપીને માહિતી મળી હતી કે પ્રવીણભાઈના આ બીજા નહીં, પરંતુ ચોથા લગ્ન છે. જેને લઇને આરોપીએ મૃતક પ્રત્યે દ્વેષ રાખ્યો હતો. આરોપીએ ધીરુભાઈ પર છરીથી હુમલો કર્યો હતોઆરોપીએ મૃતક ધીરુભાઈને ગઢડા બોલાવ્યા હતા. જ્યાં છરી લઈને મૃતક ઉપર તૂટી પડતા મૃતકને છાતી અને પેટમાં છરી વાગતા ઘટના સ્થળે જ ધીરુભાઈનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે બોટાદ પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બોટાદ સેશન્સ કોર્ટે 24 સાહેદ અને 24 જેટલા પુરાવાને આધારે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સાહેદોએ છરી મારતા આરોપીઓને જોયા નથીઅરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે અરજદારને આજીવન કેદની સજા કરવામાં આવી છે. સાહેદોએ છરી મારતા આરોપીઓને જોયા નથી. મુદ્દા માલની રિકવરી પણ શંકાસ્પદ છે. ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન અખંડ નથી. સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે આરોપીઓએ બનાવ બન્યાનો અને ઘટનાસ્થળ અંગે કોઈ વિવાદ ઉપાડ્યો નથી. હાઈકોર્ટે બોટાદ કોર્ટનો ચુકાદો રદ્દ કર્યોફરી ગયેલા સાહેદો અને આરોપી એક જ ગામના રહેવાસી છે. તે આરોપીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ચોટીલાની ધર્મશાળામાં રોકાયા હતા. છરી પરથી મૃતકનું બ્લડ ગ્રુપ પણ મળી આવ્યું હતું. જો કે કોર્ટે કહ્યું હતું કે ઘટનાને સાંકળતી ચેઇન પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે. તેમજ આરોપ શંકાથી પરે સાબિત થઈ શક્યો નથી. ત્યારે બોટાદ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:42 pm

દીપેન દવે બાર કાઉન્સિલ ચૂંટણીમાં ત્રીજીવાર વિજેતા:સુરેન્દ્રનગરના ધારાશાસ્ત્રીનો સતત વિજય, સન્માન સમારોહ યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ દીપેનભાઈ દવેએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે. તેમના આ વિજયને વધાવવા માટે ટૂંક સમયમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ અને વકીલ મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમ શનિવાર, 11 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:30 કલાકે દુધરેજ સ્થિત 'ત્રિવેણી પાર્ટી પ્લોટ' ખાતે યોજાશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારનું અભિવાદન કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. સન્માન સમારોહની સાથે મનોરંજન માટે 'યે શામ મસ્તાની' શીર્ષક હેઠળ ફિલ્મી ગીતોની મહેફિલનું પણ આયોજન કરાયું છે, જેમાં ભગીરથ ભટ્ટના સંગીત સાથે મહેમાનો સુરમય સાંજનો આનંદ માણી શકશે. એડવોકેટ દીપેન દવે સન્માન સમિતિ દ્વારા જાહેર જનતા અને સ્નેહીજનોને પરિવાર સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:33 pm

રૂ.5 લાખના કમિશનની લાલચમાં આરોપીઓએ કારસ્તાન આચર્યું:રાજકોટમાં એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારીઓને બંધક બનાવી રૂ.50 લાખની સનસનીખેજ લૂંટનું દુબઈમાં રચાયું'તું ષડયંત્ર

આધુનિક યુગમાં ગુનેગારો હવે સાત સમુંદર પાર બેસીને સ્થાનિક શહેરોમાં ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં દુબઈમાં બેસીને રચાયેલા કાવતરાના ભાગરૂપે રાજકોટની જાણીતી SP આંગડિયા પેઢીના બે કર્મચારીઓને હથિયારના બતાવી બંધક બનાવી, રૂ.50 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા પોલીસે તાત્કાલિક બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓને આ પ્રકારે ગુનાહિત કાવતરું આચરવા માટે દુબઇ બેઠેલા શખ્સે પ્રેરણા આપી હોવાનું અને આ માટે કમિશન પેટ રૂપિયા 5 લાખ મળશે તેવી લાલચ આપી હતી જે લાલચમા આવી આરોપીઓ લૂંટનું કારસ્તાન આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પૈકી શબીર વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતા અને સોની બજારની 'એસ.પી. એન્ટરપ્રાઈઝ' નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ જશવંતભાઈ વ્યાસ (ઉ.વ.40)એ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના સાળા હિમાંશુભાઈના બનેવી વિમલભાઈ પાંધી દુબઈમાં રહી કમિશનથી નાણાંની હેરફેરનું કામ કરે છે. દુબઈમાં વિમલભાઈનો સંપર્ક રાજકોટના જ વતની વૈભવ પટેલ સાથે થયો હતો. વૈભવે વિમલભાઈને વિશ્વાસમાં લીધા હતા કે રાજકોટમાં તેની એક પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, જે મેળવીને તેના બદલામાં દુબઈમાં હિતેશભાઈ નામના વ્યક્તિને પેમેન્ટ કરી દેવાનું રહેશે, જેના બદલામાં સારું કમિશન મળશે. આ લાલચમાં આવીને વિમલભાઈએ રાજકોટની આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ​ગત તારીખ 10.11.2025ના રોજ વિમલભાઈએ આંગડિયા પેઢીના વોટ્સએપ પર મેસેજ કરી પૂછ્યું હતું કે, કોઈ રેલનગર વિસ્તારમાં પેમેન્ટ લેવા જઈ શકે તેમ છે? જેથી પેઢીના માલિક મિહિરભાઈએ રકમ વિશે પૂછતા વિમલભાઈએ '25 કેજી' (એટલે કે 25 લાખ) જણાવ્યું હતું. ત્યારબાદ વિમલભાઈએ રાકેશ નામના વ્યક્તિનો ઇન્ટરનેશનલ નંબર આપ્યો અને જણાવ્યું કે રકમ 25 નહીં પણ 50 લાખ લેવાની છે. તેમણે સૂચના આપી હતી કે, તમે આ રકમ સ્વીકારી લો અને તમારા હાથમાં પૈસા આવે એટલે તરત મેસેજ કરજો, જેથી મારે અહીં દુબઈમાં બીજી પાર્ટીને પેમેન્ટ ચૂકવવાનું છે તે હું કરી શકું. ​વિરલભાઈ અને તેમના સાથી કર્મચારી કિશન વીસપરા જ્યારે આપેલા નંબર પર સંપર્ક કરી પેમેન્ટ લેવા માટે જામનગર રોડ પર બજરંગવાડી પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજા અને તેના અન્ય બે સાગરીતો બીએમડબલ્યુ કાર લઈને હાજર હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈ બંને કર્મચારીઓને કારમાં બેસાડ્યા હતા. આ પછી જેવા કર્મચારીઓ કારમાં બેઠા, કે તરત જ કાર ચલાવી રહેલા શખ્સે પોતાના નેફામાંથી રૂમાલમાં વીંટાળેલું હથિયાર કાઢી વિરલભાઈને બતાવ્યું હતું અને લાફા માર્યા હતા અને આરોપીઓએ બંને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટી લઇ અને તેમને બંધક બનાવી દીધા હતા. ​આરોપીઓએ કર્મચારીઓને ધમકાવીને તેમના માલિકને ફોન કરવા મજબૂર કર્યા હતા અને દબાણ પૂર્વક માલિકને 'પેમેન્ટ મળી ગયું છે કહેવા જણાવ્યું હતું જેથી ફરિયાદી વિરલભાઈએ જીવના જોખમે શેઠને ફોન પર જણાવ્યું કે 50 લાખ મળી ગયા છે. જોકે, આંગડિયા પેઢીની કાર્યપદ્ધતિમાં રકમ માટે ખાસ કોડવર્ડ વપરાતા હોય છે. સામાન્ય રીતે 50 લાખ માટે '50 કેજી ઓકે' લખવામાં આવતું હોય છે, પરંતુ આરોપીઓએ ડર બતાવીને '100ના બંડલ ઓકે' એવો અસામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો હતો. ​આ અલગ પ્રકારના મેસેજને કારણે પેઢીના માલિક મિહિરભાઈને શંકા ગઈ હતી. તેમણે ફરીથી ફોન કરીને લોકેશન પૂછયું, ત્યારે આરોપીઓએ કર્મચારી પાસે એવું કહેવડાવ્યું કે તેઓ અત્યારે હોસ્પિટલ ચોક પાસે પહોંચ્યા છે. આ દોઢ કલાકના ડ્રામા દરમિયાન આરોપીઓ સતત દુબઈમાં કોઈની સાથે સંપર્કમાં હતા અને 'જલ્દી કરો, જલ્દી કરો' તેવી સૂચનાઓ આપી રહ્યા હતા. જેવા રાજકોટથી 'પેમેન્ટ મળી ગયું છે' તેવા મેસેજ કન્ફર્મ થયા, કે તરત જ દુબઈમાં વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ માહિતી મળતા જ રાજકોટમાં કારમાં રહેલા શબ્બીર અને તેના સાગરીતોએ બંને કર્મચારીઓના ફોન પરત આપી તેમને રસ્તામાં ઉતારી દીધા અને ફરાર થઈ ગયા હતા. ​જ્યારે વિરલભાઈએ ઓફિસે જઈને હકીકત જણાવી, ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજાને અને તૌફીક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખું કાવતરું દુબઈમાં બેઠેલા શખ્સો દ્વારા રચવામાં આવ્યું હતું. આરોપીઓએ જાણી જોઈને બીએમડબલ્યુ કારનો ઉપયોગ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. આ કેસમાં પકડવાનો બાકી આરોપી મોહિત સાગર સાથે સીધો સંપર્કમાં હતો અને આંગડિયા પેઢીના બંને કર્મીનું અપહરણ કરી પળેપળની વિગત તે દુબઈ બેઠેલા સાગર વ્યાસને પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો જે હાલ પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે હાલ પકડાયેલ આરોપીઓ પૈકી શબીર વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ​દુબઈમાં રહેલા વૈભવ પટેલ અને અન્ય સાગરીતોની ભૂમિકા શું છે.? તેમજ આ ગુનામાં વપરાયેલી હથિયાર અને કારની રિકવરી કરવા અને ​આ ગેંગ દ્વારા અગાઉ આચરવામાં આવેલા અન્ય ગુનાઓની વિગતની પણ તપાસ કરી રહી છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા આ તારને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:26 pm

રાહુલ શુક્લા ફાઉન્ડેશનનું સૈનિકોના કલ્યાણ માટે યોગદાન:સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનો ચેક અર્પણ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. આ યોગદાન દેશની સેવા કરતા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને સ્વર્ગસ્થ સૈનિકોના પરિવારોને સંકટ સમયે મદદરૂપ થવાના આશયથી કરાયું છે. ફાઉન્ડેશન દ્વારા ₹1 લાખનો ચેક સુરેન્દ્રનગરના કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના પ્રમુખશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય દેશના સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરે છે. ફાઉન્ડેશનનું આ પ્રેરણાદાયી પગલું સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓને વેગ આપશે. આ યોગદાન દેશ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ફાઉન્ડેશનની આ રાષ્ટ્રપ્રેમી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:20 pm

કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ ગુજરાતની મુલાકાતે:અમદાવાદ-ગાંધીનગર-વડોદરા અને એકતાનગરમાં યોજાનારી CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશે, ગાંધીનગરથી પ્રવાસનો પ્રારંભ

ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પહેલીવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. ગાંધીનગરમાં CMને મળીને ગુજરાત પ્રવાસની શરુઆત કરીકોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટીમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી. રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરી પાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરી પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ અને CEOએ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે એવી ખાતરી આપી હતી. CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશેકોમનવેલ્થ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટીમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:11 pm

ભાજપના વરિષ્ઠ નેતા 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા:સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષપલટો, ભાજપમાં ગાબડું

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેજાભાઈ મેટાળીયા પોતાના 50થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે જોડાયા હતા. આ પક્ષપલટો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીના નેજા હેઠળ થયો હતો. ભાજપ પક્ષથી નારાજ થયેલા તેજાભાઈ મેટાળીયા અને તેમના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાને કારણે ભાજપ પક્ષમાં મોટું ગાબડું પડ્યું હોવાનું મનાય છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેનદરભાઈ સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:04 pm

'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં':ઉચરપી ગામે મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર, વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના સ્થાનિકોના આક્ષેપ

મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ઉચરપી ગામના ગ્રામજનોએ ટીપી સ્કીમ અને રસ્તાઓના આયોજનમાં મોટાપાયે થતી જમીન કપાતના વિરોધમાં આગામી મનપા સહિતની તમામ ચૂંટણીઓના બહિષ્કારનું એલાન કર્યું છે. વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગામમાં 'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં' તેવા બેનરો લગાવતા ચકચાર મચી છે. ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમસ્થાનિક આગેવાન બાબુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવતી છે. ગામની આસપાસથી રાધનપુર-શામળાજી-ઈડર એમ બે હાઈવે પસાર થવાના છે, જેની વચ્ચે માંડ એક કિલોમીટરનું અંતર છે. આ મર્યાદિત વિસ્તારમાં ફરી 80 મીટરનો વિશાળ રિંગ રોડ અને 24 મીટરના ટીપી રોડ મંજૂર કરવામાં આવતા ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વધુમાં, જમીનોને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં સમાવી લેવા સામે પણ વિરોધ ઉઠ્યો છે. દૂધનો વ્યવસાય અને આજીવિકા ગુમાવવા જેવી સ્થિતિગામના યુવક ચિરાગ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર એવા ઉચરપી ગામની 50% થી વધુ જમીન રસ્તાઓ અને ટીપી-ડીપી સ્કીમોમાં કપાતમાં જઈ રહી છે. વર્ષ 2047ના ભાવિ આયોજનના નામે ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં અત્યારથી જ આકરા અમલીકરણને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેતીમાં પહેલેથી જ નુકસાન વેઠી રહેલા પરિવારો માટે હવે જમીન ગુમાવવી એટલે દૂધનો વ્યવસાય અને આજીવિકા કાયમ માટે ગુમાવવા જેવી સ્થિતિ છે. ગ્રામજનોની કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકીઉચરપીના ગ્રામજનોએ એકસૂરે માંગણીઓ કરી છે કે, નવા સૂચિત રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તાત્કાલિક રદ કરવામાં આવે. ગામને ફરીથી એગ્રીકલ્ચર (ખેતીલાયક) ઝોનમાં સમાવવામાં આવે અને બિનજરૂરી રિંગ રોડને બદલે જ્યાં ખરેખર જરૂર છે તેવા નેળિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી મનપા જ નહીં પણ વિધાનસભા જેવી કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 4:00 pm

બનાસકાંઠામાં ચૂંટણી 2026 માટે કંટ્રોલ રૂમ શરૂ:જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે હેલ્પલાઇન જાહેર

બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026ના સુચારુ સંચાલન અને ચૂંટણીલક્ષી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ કંટ્રોલ રૂમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર (ગ્રામ્ય)ના મામલતદારની કચેરી, જોરાવર પેલેસ ખાતે કાર્યરત છે. તેનો ટેલિફોન નંબર 02742-257261 છે. જાહેર જનતા આ નંબર પર સંપર્ક કરીને ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ કે વિગતો જણાવી શકશે. આ કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક ફરજ બજાવવામાં આવશે. મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુર (ગ્રામ્ય)ના મામલતદાર દ્વારા તમામ જનતાને આ સેવાનો લાભ લેવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:56 pm

'ભાજપ પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે':ગોપાલ ઇટાલિયાની ધરપકડનું ષડયંત્ર, AAPના ઈસુદાન અને મનોજ સોરઠિયાના નિવેદનો બાદ રાજકારણ ગરમાયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ અલગ-અલગ નિવેદનોમાં ભાજપ અને રાજ્ય સરકાર સામે આક્ષેપો કર્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR કરીને દબાણ બનાવવાની કોશિશ થઈઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, સૂત્રો મુજબ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચાયું છે. તેઓએ કહ્યું કે, AAPને મળતી વધતી લોકપ્રિયતા અને સંભવિત જીતને કારણે ભાજપ અકળાઈ ગયું છે અને પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR કરીને દબાણ બનાવવાની કોશિશ થઈ રહી છે. ગઢવીએ ચેતવણી આપી કે, જો ગોપાલ ઇટાલિયાની ધરપકડ થશે તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવશે. તેમણે જનતાને અપીલ કરી કે, ચૂંટણીના દિવસે “ઝાડું” બટન દબાવીને જવાબ આપવો જોઈએ, જેથી “અત્યાચાર સામે જનતાનો અવાજ દબાવી ન શકાય” એવો સંદેશ જાય. રાજ્યમાં ભાજપ પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છેબીજી તરફ AAPના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધો પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાના માતા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને બાદમાં ભાજપના IT સેલ દ્વારા AI જનરેટેડ ઓડિયો ફેલાવવામાં આવ્યો. રાજ્યમાં ભાજપ “પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે” અને AAPના ઉમેદવારોને દબાવવા માટે FIR અને ધરપકડનો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજકોટ, ગઢડા અને કામરેજ જેવા વિસ્તારોમાં AAP કાર્યકર્તાઓ સામે કાર્યવાહીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે જનતાને અપીલ કરી કે, આ ચૂંટણીમાં ભાજપના “અત્યાચાર અને ભ્રષ્ટાચાર”નો જવાબ મતદાન દ્વારા આપવો જોઈએ અને “સાવરણો ચલાવીને ભાજપને તેની હેસિયત બતાવવી જોઈએ.” આ તમામ નિવેદનો બાદ ગુજરાતની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે અને ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધુ વધવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:54 pm

પાળીયાદમાં અબોલ પશુઓને 56 ભોગ ધરાવાયો:અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જીવદયા કાર્ય કરાયું

પાળીયાદ મહાજન પાંજરાપોળ ખાતે ગૌરવંતા ગુજરાતી અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અબોલ પશુઓને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આયોજિત કરાયો હતો. આ જીવદયા કાર્યક્રમમાં અર્હમ યુવા સેવા ગ્રુપ અને અનંત સેવા ગ્રુપનો સહયોગ રહ્યો હતો. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે ગુરુદેવને વંદન કરી અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જીવદયા પ્રવૃત્તિ બદલ અનંત અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:51 pm

રેન્જ IG નિર્લિપ્ત રાયે જામનગર ગ્રામ્ય મથકનું ઇન્સ્પેક્શન કર્યું:કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચનાઓ આપી

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જામનગર ગ્રામ્ય પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગર પહોંચતા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયને પોલીસ વિભાગ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી પિયુષ વાંદા, જયવીરસિંહ ઝાલા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ, રેન્જ આઈ.જી. રાયે ગ્રામ્ય પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વણઉકેલાયેલા ગુનાઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. નિરીક્ષણ દરમિયાન, તેમણે હાજર અધિકારીઓને પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાતના અંતે, આઈ.જી. રાયે પોલીસ જવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તેમની કામગીરીને બિરદાવી અને શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:43 pm

ખડગેના નિવેદનથી ભાજપમાં રોષ, અરવલ્લીમાં ધરણા:ગુજરાતીઓને 'અભણ-મૂર્ખ' કહેવાના આરોપ પર માફીની માંગ

અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. મોડાસા શહેરના ચાર રસ્તા ટાઉનહોલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં યોજાયું હતું. ભાજપે આરોપ લગાવ્યો છે કે ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહ્યા છે, જેના કારણે પક્ષમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોરની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ મલ્લિકાર્જુન ખડગે પાસેથી તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. આ ઘટનાને પગલે જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:40 pm

ચાર ફરાર આરોપીઓને મકરપુરા પોલીસે દબોચ્યા:દીવાળીપુરા કોર્ટના સજા વોરંટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા હતા

વડોદરામાં મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટે ઈશ્યૂ કરેલા સજા વોરંટના આધારે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા એક વર્ષથીથી ફરાર હતા અને કોર્ટના હુકમનો અનાદર થતા આખરે પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. 4 આરોપી મકરપુરા પોલીસના સકંજામાં મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ગોહિલની આગેવાનીમાં આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી હકીકતના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુનામાં સજા વોરંટ પામેલા આરોપીઓને પકડી પાડ્યા હતા.આ કાર્યવાહીમાં આરોપી વિજય દેસાઈ (રહે.માંજલપુર), ભુરા પગી (રહે. મકરપુરા), મોહન પટેલ (રહે. વડોદરા), અક્ષય જાદવ (રહે.દંતેશ્વર)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:39 pm

પંચમહાલમાં 2000 આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન અપાયા:કામગીરી ડિજિટલ બનશે, વહીવટમાં પારદર્શિતા આવશે

પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોની કામગીરીને ડિજિટલ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાની આંગણવાડી બહેનો હવે ટેકનોલોજીથી સજ્જ થઈ 'સ્માર્ટ કામગીરી' કરશે. આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 2,096 સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણમાં 2,000 આંગણવાડી કાર્યકર બહેનો ઉપરાંત મુખ્ય સેવિકા અને તાલુકા કક્ષાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનના ઉપયોગથી વહીવટી કામગીરીમાં પેપરલેસ અભિગમ અપનાવવામાં આવશે, જેનાથી ડેટા એન્ટ્રીમાં ચોકસાઈ આવશે. આંગણવાડીની કામગીરીમાં પારદર્શિતા અને સરળતા વધશે. અત્યાર સુધી આંગણવાડીની કામગીરીમાં વિવિધ રજિસ્ટરો નિભાવવા પડતા હતા, પરંતુ હવે સ્માર્ટફોન દ્વારા તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર ત્વરિત અપડેટ કરી શકાશે. આનાથી બાળકોના પોષણ સ્તરની દેખરેખ રાખવી સરળ બનશે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શિતાથી પહોંચાડી શકાશે. રિપોર્ટિંગની કામગીરી પણ ઝડપી અને ભૂલરહિત બનશે. આ ડિજિટલ પહેલથી આંગણવાડી બહેનોનો સમય બચશે, જેથી તેઓ બાળકોના પાયાના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ક્રાંતિ ગ્રામીણ સ્તરે વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:33 pm

મેટોડામાં ગૌવંશ પર એસિડ છાંટનાર બે મહિલાની ધરપકડ:ગાયને હેરાન કરતા હોવાથી બન્ને મહિલાઓએ 10 જેટલા આખલા પર હીન કૃત્ય આચર્યું હતુ

રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાં પશુ ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. 10 આખલાઓ પર એસિડ છાંટી દેવામાં આવતા તે ગંભીર રીતે દાઝી ગયા હતાં જેની જાણ થતા જીવદયાપ્રેમીએ બે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મેટોડા પોલીસે ગુનો નોંધી બંને મહિલાઓની અટકાયત કરી પુછતાછ કરતા ગાયને આખલા હેરાન કરતા હોવાથી તે અંગે દાઝ રાખી બન્ને મહિલાઓએ નિર્દયી કૃત્ય આચર્યું હોવાની કબૂલાત આપી છે. મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 ની અંદર અંજલી પાર્ક મણીરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન રવિ બાવનભાઈ મોરી (ઉ.વ.18) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડાની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન દિલીપભાઈ રાઠોડ અને શોભનાબેન નિર્મળભાઈ ઉદ્દેશાના નામ આપી જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટની સામે આવેલ ડાયમંડ પાર્ક સોસાયટીમાં મિત્રના ઘરની નજીકની શેરીમાં આઠથી દસ આખલાઓ હતા જેમના પર કોઈએ એસિડ છાંટતા લોહી નીકળતું હોય અને ગંભીર રીતે દાઝી ગયા હોય જેથી યુવાને શ્રી સોનલ સેનાના સભ્ય ભગુભાઈ મોરીને વાત કરી હતી. બાદમાં પશુઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા કોણે આચરી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન અને શોભનાબેનને આ પશુઓ પર એસિડ છાંટ્યું હતું. જેથી આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને મહિલાઓ સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને મહિલાઓની અટક કર્યા બાદ આ બાબતે તેમની પૂછતાછ કરતા જણાવ્યું હતું કે ગાયને આ આખલાઓ હેરાન કરતા જેથી આ બાબતની દાઝ રાખી બંને મહિલાઓએ આખલા ઉપર એસિડ છાંટવાનું નીર્દયી કૃત્ય આચર્યું હતું હાલ પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:31 pm

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોનો ગુજરાત ગેસ સામે વિરોધ:યુદ્ધવિરામ બાદ ગેસના ભાવ ઘટાડવા અને વેટ હટાવવાની માંગ

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉદ્યોગકારોએ રામધૂન બોલાવી 'ગુજરાત ગેસ હાય હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માંગ મે મહિના માટે જાહેર કરાયેલા ગેસના ભાવમાં ઘટાડો કરવાની અને સરકાર દ્વારા ગેસ પરનો વેટ હંગામી ધોરણે દૂર કરવાની હતી. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની કાયમી ગ્રાહકો અને પ્રોપેન ગેસ ન મળતા નવા ગ્રાહકો માટે અલગ-અલગ ભાવ રાખે છે. બે દિવસ પહેલા ગાંધીનગરથી આવેલા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો અને ઉદ્યોગકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મે મહિના માટે ગેસની માંગણી રજૂ કરવામાં આવી હતી, જેના જવાબમાં કંપની દ્વારા અંદાજે 90 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલા સિરામિક ઉદ્યોગને 41 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે નેચરલ ગેસ મળતો હતો. યુદ્ધને કારણે ગેસ સપ્લાય ખોરવાઈ હતી અને અનેક કારખાના બંધ કરવા પડ્યા હતા. હવે જ્યારે યુદ્ધવિરામ થયો છે, ત્યારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની શક્યતા છે. આથી, બે દિવસ પહેલા ગુજરાત ગેસ કંપની દ્વારા અપાયેલા ભાવને સુધારીને વર્તમાન ક્રૂડ ઓઈલના ભાવ મુજબ નવો ભાવ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ છેલ્લા એક મહિનાથી બંધ છે, જેના કારણે 5000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. તેમણે ગુજરાત સરકારને નેચરલ ગેસ પર લાગતા 6 ટકા વેટને હંગામી ધોરણે દૂર કરવા વિનંતી કરી હતી. ઉદ્યોગકારોએ આવેદનપત્ર સુપરત કરતી વખતે પણ રામધૂન અને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:27 pm

ગોધરામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ:ખેતરમાં અન્ય પાકની આડમાં 22 છોડ સાથે એક ઝડપાયો

ગોધરા તાલુકાના ઇસરોડિયા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. પંચમહાલ SOG ટીમે ખેતરમાંથી 2.64 લાખ રૂપિયાની કિંમતના 22 ગાંજાના છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે ઇસરોડિયા ગામના એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે, પોલીસે દેવેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાવલજી નામના શખ્સના ભોગવટાના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ અન્ય કાયદેસરના પાકની આડમાં પ્રતિબંધિત ગાંજાના છોડ રોપ્યા હતા. SOG ટીમે તમામ 22 છોડ કબજે કર્યા હતા. આરોપી દેવેન્દ્રસિંહ રાવલજીની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ નશીલા પદાર્થનું વેચાણ ક્યાં કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:20 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 10 એપ્રિલે પદવીદાન સમારોહ:54,346 વિદ્યાર્થીઓને પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી મળશે;151 તેજસ્વી વિદ્યાર્થીઓ રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 10 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે. યુનિવર્સિટીના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી આ વખતે પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને મળશે. યુનિવર્સિટીના કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા. આ પદવીદાન સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે પદવી મેળવનારમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ આર્ટસમાં નોંધાયા છે, જ્યાં કુલ 26,669 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આમાં બેચલર ઓફ આર્ટસના 21,617 અને માસ્ટર ઓફ આર્ટસના 4,928 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં 9,921 અને ફેકલ્ટી ઓફ સાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સાયન્સના 3,345 અને બેચલર ઓફ સાયન્સના 2,614 વિદ્યાર્થીઓ છે. અન્ય વિદ્યાશાખાઓમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5,743, ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડીઝમાં 1,864 અને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટમાં 1,801 વિદ્યાર્થીઓ પદવી ધારણ કરશે. ફેકલ્ટી ઓફ લોમાં 1,138 વિદ્યાર્થીઓ (950 બેચલર ઓફ લો અને 182 માસ્ટર ઓફ લો) છે. મેડિકલ ફેકલ્ટીમાં 667 વિદ્યાર્થીઓ પદવી મેળવશે, જેમાં 568 વિદ્યાર્થીઓ પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ (નર્સિંગ) ના છે. એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં સૌથી ઓછા 46 વિદ્યાર્થીઓ (આર્કિટેક્ચરના 24 અને ડિઝાઈનના 22) નોંધાયા છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની પણ યાદી જાહેર કરાઈ છે. જેમાં આર્ટસમાં 36, સાયન્સમાં 8, એજ્યુકેશનમાં 8, લોમાં 6 અને કોમર્સમાં 11 સંશોધક વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલના રોજ યોજાનારા આ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલીયા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:07 pm

યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યા:આરોપીએ કહ્યું , કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો'તો, આજે તો તને પતાવી દેવાનો છે; અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ જાડેજા (રહે, આદર્શ સોસાયટી, મેઘાણીનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા અટકાયત કરી હતી6 એપ્રિલ સોમવારની રાતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ.બી.ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અનિલ, તુષારસિંહ અને જયેશ સહિતના કર્મીઓ પેટ્રોલિંગમાં હતાં, તે દરમિયાનમાં મંગલપાંડે હોલની બાજુના ગાર્ડનમાં એક શખ્સ બેઠો હતો. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા જયેશ વસાવા તેની પાસે ગયો હતો અને તેનું નામ પુંછ્યું હતું. યુવકે પોતાનું નામ આપવાનો ઈન્કાર કરી દેતા જયેશ વસાવાએ તેની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. પોલીસનું નામ પડતાની સાથે જ શખ્સે પોતાની નામ જીતેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું. પોલીસ કર્મચારીની માફી માંગી લેતા કાર્યવાહી વગર જવા દીધો હતોપોલીસ જીતેન્દ્રસિંહને ગાર્ડનમાંથી જવાનું કહેતા તેને દાદાગીરી કરી હતી. જીતેન્દ્રસિંહે પોલીસ કર્મચારી જયેશ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ જીતેન્દ્રસિંહની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને તમામ પોલીસ કર્મચારીની માફી માંગી હતી. પોલીસે જીતેન્દ્રસિંહને પોલીસ સ્ટેશનથી કોઈપણ કાર્યવાહી કર્યા વગર જવા દીધો હતો. 'કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે'ગઈકાલે (7 એપ્રિલ) રાતે કોન્સ્ટેબલ જયેશ નોકરી પુર્ણ કરીને પોતાનું ટુવ્હિલર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતાં. મેમ્કો રાજીવગાંધી ભવનની સામેની હોટેલમાં જઈને જયેશે જમવાનું પાર્સલ કરાવ્યુ હતું. આ દરમિયાનમાં જીતેન્દ્રસિંહ તેની બાઈક લઈને આવ્યો હતો. જીતેન્દ્રસિંહના હાથમાં લાકડી હતી અને કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. જીતેન્દ્રસિંહ કોન્સ્ટેબલને જાતિવાચક શબ્દ બોલીને કહેવા લાગ્યો હતો કે, કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો આજે તો તને પતાવી દેવાનો છે. હત્યાની કોશિષ તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાયોજયેશ પર હુમલો કર્યા બાદ જીતેન્દ્રસિંહ ત્યાથી નાસી ગયો હતો. જયેશને શરીર પર ઈજા થતાની સાથે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. ઘટનાની જાણ મેઘાણીનગર તેમજ શહેરકોટડા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતાં. શહેરકોટડા પોલીસે આ મામલે જીતેન્દ્રસિંહ વિરૂદ્ધ હત્યાની કોશિષનો તેમજ એટ્રોસિટીનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:03 pm

એરોનોટિકલ એન્જિનિયર ‘ચંચલ જ્વેલર્સ’ લૂંટનો માસ્ટરમાઇન્ડ:બીલીમોરાના શોરૂમના માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગ્યા, વલસાડના 3 શખસની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી

બીલીમોરાના રાજભોગ સર્કલ પાસે આવેલી ચંચલ જ્વેલર્સમાં 7 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે લૂંટનો સશસ્ત્ર પ્રયાસ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત રેન્જ IG અને નવસારી SPએ તાત્કાલિક 15 ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ભાગવાના રૂટ પરના 300થી વધુ CCTV કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર 7 કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા હતા. ઇજાગ્રસ્ત માલિકે હોકી વડે લૂંટારૂઓને ભગાડ્યાદુકાન માલિક અશોક કટારીયા (ઉંમર 58) જ્યારે હાજર હતા, ત્યારે સફેદ રંગની બલેનો કારમાં બે શખ્સો પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. લૂંટારૂઓએ હથિયાર બતાવી માલ થેલીમાં ભરી દેવા ધમકી આપી હતી. જોકે, અશોક કટારીયાએ પ્રતિકાર કરતા આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ખભાના ભાગે અને એક દાઢીના ભાગે વાગી હોવા છતાં, તેમણે હિંમત હાર્યા વગર લાકડાની હોકી વડે સામનો કર્યો હતો. આ સાહસિક વળતા હુમલાથી ગભરાઈને આરોપીઓ લૂંટ કર્યા વગર જ નાસી છૂટ્યા હતા. કપડાં બદલ્યા અને કાર બિનવારસી છોડીગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસને મરમાળે ચડાવવા માટે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ચીખલીના આલીપોર ગામની સીમમાં ક્વોરી પાસે કાર છોડી દીધી હતી. તેમણે ઓળખ છુપાવવા કપડાં અને બુટ બદલી નાખ્યા હતા અને પગપાળા હાઈવે પર પહોંચી બસ દ્વારા વલસાડ ભાગી ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન બિનવારસી કાર કબજે કરી હતી, જેના કાચ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ પર કાળો કલર લગાવેલો હતો. કારમાંથી ગુનામાં વપરાયેલા કપડાં અને બુટ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ અને આર્થિક ભીંસમુખ્ય આરોપી ઉમંગ વાછાણી એરોનોટિકલ એન્જિનિયર હોવા છતાં અગાઉ 12 જેટલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. 2023માં તેની સામે 'પાસા' હેઠળ કાર્યવાહી પણ થઈ હતી. આર્થિક સંકડામણ અને દેવું વધી જતાં તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ લૂંટ માટે 2 મહિનાથી પિસ્તોલ પોતાની પાસે રાખી હતી. કાયદેસરની કાર્યવાહીબીલીમોરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ રસ્તામાં ક્યાંક ફેંકી દીધી હોવાની કબૂલાતના આધારે હથિયાર રિકવર કરવા તપાસ ચાલુ છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે રેકી કરી હતી કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 3:03 pm

વલસાડમાં 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયત બેઠકો માટે, શિક્ષણ-બેરોજગારી મુખ્ય મુદ્દા

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ત્રણ ઉમેદવારોએ આજે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે, અત્યાર સુધીમાં 'આપ' દ્વારા કુલ ચાર બેઠકો પર ફોર્મ ભરવામાં આવ્યા છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ 'આપ'ના ઉમેદવારોએ જનતાના મુખ્ય પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી. તેમણે શિક્ષણ અને રોજગારના મુદ્દે જનતા વચ્ચે જવાની વાત કરી. ચણવઈ-7 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર જયેશભાઈ રમણભાઈ પટેલે જણાવ્યું કે, ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. જ્યાં પાંચ સરકારી શાળાઓ હતી, ત્યાં હવે માત્ર એક જ રહી ગઈ છે. તેમણે ગરીબ બાળકોના શિક્ષણ અને ખાનગીકરણ સામેના જંગ પર ભાર મૂક્યો. લીલાપોર-20 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ચંદનબેન રાકેશભાઈ પટેલે મહિલાઓના પ્રશ્નો અને પાયાની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કહ્યું કે, મહિલાઓ માટે રોજગારીનો અભાવ, પીવાના પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. 'આપ' આ મુદ્દાઓ સાથે જનતાના આશીર્વાદ મેળવવા મેદાને ઉતરી છે. વલસાડ તાલુકામાં કુલ 30 તાલુકા પંચાયત બેઠકો અને 8 જિલ્લા પંચાયત બેઠકો આવેલી છે. અત્યાર સુધીમાં 'આપ' દ્વારા જિલ્લા પંચાયતની 2 બેઠકો અને તાલુકા પંચાયતની 2 બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે, આમ કુલ 4 બેઠકો પર 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ આદમી પાર્ટી વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં પ્રવેશ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના મુદ્દાઓને મુખ્ય હથિયાર બનાવી રહી છે. આગામી દિવસોમાં આ ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:38 pm

વડોદરામાં વલ્લભાચાર્યજીનો 549મો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ:કારેલીબાગ હવેલીથી નીકળશે વિશાળ શોભાયાત્રા, સ્વામિનારાયણ ગ્રાઉન્ડમાં ધર્મસભા અને દિવ્ય મનોરથ દર્શન

વડોદરા શહેરમાં સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી 13 એપ્રિલ 2026, સોમવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. ચૈત્ર વદ એકાદશીના આ પાવન પર્વે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તિ અને સમાનતાનો દિવ્ય સંદેશઆશરે 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યજીએ ભારતીય સનાતન ધર્મમાં એક ક્રાંતિકારી વિચારધારા વહેતી કરી હતી. તેમણે શાસ્ત્રોક્ત આધારો સાથે સમજાવ્યું કે ભક્તિના માર્ગે સ્ત્રી અને શૂદ્રો સહિત તમામ જીવોને પરમાત્માની પ્રાપ્તિનો સમાન અધિકાર છે. પશુબલી જેવી પ્રથાઓનો વિરોધ કરી તેમણે પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને ભગવાન પ્રત્યે સ્નેહ, સેવા તથા સમર્પણનો માર્ગ બતાવ્યો. વેદાંતમાં સાકાર બ્રહ્મવાદનો પ્રચાર કરવા માટે તેમણે ઉઘાડા પગે ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી હતી. વૈષ્ણવાચાર્યોની પ્રેરક ઉપસ્થિતિઆ મંગલ મહોત્સવના અધ્યક્ષ તરીકે પીઠાધીશ્વર ગોસ્વામી મથુરેશજી મહારાજ બિરાજશે. કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી યોગેશ્વરજી મહોદયની મંગલ ઉપસ્થિતિ રહેશે, જ્યારે મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક તરીકે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી દ્રુમિલકુમારજી મહોદય ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજનઉત્સવના દિવસે બપોરે 12:15 કલાકે મહાપ્રભુજીના ઉત્સવ તિલક (રાજભોગ) દર્શન થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે સંધ્યા આરતી બાદ કારેલીબાગ સ્થિત ગોવર્ધનનાથજી હવેલીથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. બેન્ડ-વાજા, ડંકા, નિશાન, છત્ર અને ચામર જેવા રાજવી લવાજમ સાથે નીકળનારી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ પહોંચશે. અહીં યોજાનારી ધર્મસભામાં આચાર્યોના વચનામૃત બાદ તમામ ભાવિકો માટે એકાદશી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 9:30 વાગ્યે ગોવર્ધનનાથજી હવેલી ખાતે નાગદમન નાથજી પ્રભુના દિવ્ય મનોરથના દર્શન યોજાશે. આ આખી ઉજવણીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોને ઉમટી પડવા આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:34 pm

વેરાવળમાં 12 એપ્રિલે અવર ગીર સોમનાથ એજ્યુકેશન એક્સપો:ગુજરાતની નામાંકિત સંસ્થાઓ એક મંચ પર, વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ

ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા 12 એપ્રિલે વેરાવળ-તાલાલા બાયપાસ પર આવેલા ન્યૂ ભાલકેશ્વર પાર્ટી પ્લોટ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર ઉપલબ્ધ થશે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ ધનાભાઈ બારડ અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા બાળકોના ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. મોટા શહેરોમાં ભટકવું, ફી સ્ટ્રક્ચર સમજવું અને યોગ્ય સંસ્થા પસંદ કરવી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ એક્સપો એક જ સ્થળે તમામ વિકલ્પો પૂરા પાડશે. ઉલ્લેખનીય છે કે, 2024માં અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા પ્રથમ વખત આવા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં 25થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે તેમાં વધુ સુધારો કરીને આયોજન કરાયું છે અને 35થી વધુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર હાજર રહેશે. આ એક્સપોમાં વિદ્યાર્થીઓને ₹50,000ની રોકડ સ્કોલરશિપ, વિવિધ સંસ્થાઓ તરફથી ફી માફી સ્કોલરશિપ અને નિષ્ણાતો દ્વારા મફત કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપશે. અવર ગીર સોમનાથ એક્સપોના પ્રમોટર દિવ્યેશભાઈ જીવાભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. અવર ગીર સોમનાથની ઇન-હાઉસ ટીમ ઉપરાંત 50થી વધુ શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:25 pm

પોક્સો કેસમાં આરોપીને સજા:વડોદરામાં સગીરાની જાતીય સતામણીના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો

વડોદરા શહેરમાં કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોક્સો હેઠળના ગંભીર ગુનામાં આરોપીને વડોદરા કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને ફરી ઝડપી પાડ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજીતનગર, પરશુરામ ભઠ્ઠા, વડોદરા)એ તા. 18 ઓક્ટોબર 2020ના રોજ સવારના સમયે સગીર બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. બાળકી પાણી ભરવા જતા આરોપીએ તેનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું. આ ઘટનાને અનુસંધાને પોલીસ દ્વારા તા. 20 ઓક્ટોબર 2020ના રોજ આરોપીની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પીઆઇ એસ.જી. સોલંકી તથા તેમની ટીમે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરી, FSL તપાસ સહિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં, વિશેષ જજ અને અધિક સત્ર ન્યાયાધીશ સી.એમ. પવાર સમક્ષ ચાલી હતી. સરકારી વકીલ એન.યુ. મકવાણાએ મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટને વિશ્વસનીય પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો. અંતે, તા. 7 એપ્રિલના રોજ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:19 pm

NDPS ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:ગીર સોમનાથ LCBની સફળ કાર્યવાહી, ગુપ્ત ઓપરેશન પાર પાડીને આરોપીને પકડ્યો

ગીર સોમનાથ પોલીસે NDPS ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપી લાંબા સમયથી NDPS સંબંધિત ગુનામાં વોન્ટેડ હતો. તેની ધરપકડ માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. LCB ટીમે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પાડીને આરોપીને પકડી પાડ્યો હતો. આ સફળ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:17 pm

મહામંત્રી સહિત 1 હજાર કાર્યકરો કોંગ્રેસ છોડીને AIMIMમાં જોડાયા:પાદરા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું, ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત વચ્ચે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ ને પાર્ટીમાં ટિકિટ ન મળતા નારાજગી છે તો કોઈ અપક્ષ ઉમેદવારી કરી લડી લેવાના મૂડમાં છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આતી ગામના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયેલ હતા. આખરે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી એક હજાર જેટલા કાર્યકરોએ AIMIMમાં જોડાવવાની જાહેરતા કરી હતી. ટિકિટ ન મળતા પક્ષ પલટો કર્યોઆતી ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ AIMIMની સદસ્યતા લીધી હતી. આ નારાજગીનું મુખ્ય કારણ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીમાં અસંતોષ છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવાથી ઘણા કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. 'મારી જોડે મતદારો અને કાર્યકર્તાઓ છે, છતાં ટિકિટની ફાળવણી કરી નથી'આ અંગે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલ અબ્દુલભાઈ નૂરભાભાઈ જબ્બારે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં ઘણા ટાઈમથી સક્રિય કાર્યકર છું અને ગઈ ટર્મમાં વડોદરા જિલ્લા લઘુમતી સેલનો મહામંત્રી હતો. મારી જોડે એટલા બધા મતદારો અને કાર્યકર્તાઓ છે છતાં ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે અમે 1000થી 1200 લોકો સાથે AIMIMમાં જોડાઈ રહ્યા છીએ અને આ સીટ પર મહેનત કરી અમે જીતીશું. મને મારા મતદારો પર ભરોસો છે કે અમે અવશ્ય જીતીશું. કાર્યકર્તાઓમાં અસંતોષથી કોંગ્રેસમાં ભંગાણઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ કાર્યક્રમોમાં ટીકીટ ન મળતા નારાજગી હોય છે. ત્યારે ક્યારેક આ ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસમાં પડેલા ભંગાણ આગામી ચૂંટણી પર અસર પડે તેવી શક્યતાઓ છે. ત્યારે કાર્યકર્તાઓમાં અસંતોષ કેટલો ખતરારૂપ બને છે તે તો આવનાર સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:17 pm

ખડગેના નિવેદન મામલે ભાજપએ મૌન ધારણ કરી વિરોધ કર્યો:મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું, ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણા યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ફુવારા સર્કલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવી જાહેર માફીની માંગ કરી હતી. ખડગેના નિવેદનથી સાત કરોડ ગુજરાતીઓનું અપમાન: ગીરીશ રાજગોરજિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ધરણામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેરળની ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' અને 'મૂર્ખ' કહીને સમગ્ર રાજ્યનું અપમાન કર્યું છે. કોઈપણ પક્ષને પ્રચાર કરવાનો અધિકાર છે.પરંતુ કોઈ રાજ્યના નાગરિકોની ગરિમા હણવી તે અક્ષમ્ય છે. રાજગોરે વધુમાં ઉમેર્યું કે જો ગુજરાત કોંગ્રેસ આ નિવેદન સાથે સહમત ન હોય તો તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ અન્યથા તેઓ પણ આ અપમાનમાં ભાગીદાર ગણાશે. કોંગ્રેસે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યોઆ પ્રસંગે ભાજપના નેતાઓએ કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોંગ્રેસને વર્ષોથી ગુજરાતનું અપમાન કરવાની આદત પડી ગઈ છે. સરદાર પટેલને ભારત રત્ન આપવામાં વિલંબ, નર્મદા યોજનાને 60 વર્ષ સુધી અટકાવી રાખવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન લેવી તે કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની નફરત દર્શાવે છે. વાઈબ્રન્ટ ગુજરાતના સમયે પણ કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારે અવરોધો ઊભા કર્યા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ધારાસભ્યો અને આગેવાનોની હાજરીમહેસાણાના ફુવારા સર્કલ ખાતે યોજાયેલા આ મૌન ધરણામાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અંદાજે બે કલાક સુધી મૌન પાળીને ભાજપે આ નિવેદનનો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ માફી માંગે તેવી મક્કમ માંગ દોહરાવી હતી. જ્યારે આજે બપોરે ખડગે ટ્વિટ કરીને માફી માગી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:12 pm

'ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો...' વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!

Mallikarjun Kharge Apology on Controversial Statement: કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે ગત 5 એપ્રિલે કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં..

ગુજરાત સમાચાર 8 Apr 2026 2:05 pm

સુરતમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગ્યા છતાં વિવાદ યથાવત:‘ચોરીછૂપીથી મીટર કેમ લગાવો છો?’ કહીને ઉધનાના સ્થાનિકોએ DGVCLની ટીમનો ઘેરાવ કર્યો

સુરત શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 4 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ જેમ જેમ આ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ વિરોધના સ્વરો પણ તેજ બની રહ્યા છે. ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્ષેપ છે કે ગરીબ પરિવારોના ઘરે પૂર્વ જાણકારી આપ્યા વગર મીટર બદલવાની પ્રક્રિયા હાથ ધરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. 'અમને આ નવી ટેકનોલોજી વિશે કઈ ખબર નથી'ઉધના વિસ્તારના રહેવાસીઓએ DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર સીધા જ મીટર બદલવા માટે ટીમો મોકલી દેવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમે ગરીબ શ્રમજીવી માણસો છીએ, અમને આ નવી ટેકનોલોજી વિશે કઈ ખબર નથી. વીજ કંપનીએ પહેલા અમને વિશ્વાસમાં લેવા જોઈએ. જાણ કર્યા વગર ઘરમાં ઘુસીને મીટર બદલવાની પદ્ધતિ સામે લોકોએ લાલચોળ આંખ કરી હતી. 'જો ફાયદાકારક હોય તો ચોરીછૂપીથી કેમ?' જનતાનો સવાલસ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે લોકોમાં એક મુખ્ય ચર્ચા એ છે કે જો આ મીટર ખરેખર ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી ફાયદો થવાનો છે, તો પછી તંત્ર તેને છૂપી રીતે કેમ લગાવી રહ્યું છે? સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો સરકાર કહે છે કે સ્માર્ટ મીટર સારા છે, તો પછી અમને સમજાવ્યા વગર કે કેમ્પ કર્યા વગર આ રીતે કેમ ઠોકી બેસાડવામાં આવે છે?. લોકોનો આક્ષેપ છે કે પ્રી-પેડ સિસ્ટમ અને ઝડપથી કપાઈ જતા બેલેન્સને કારણે સામાન્ય વર્ગની મુશ્કેલીઓ વધવાની છે. સામાજિક કાર્યકર્તાએ કર્મચારીઓનો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલજ્યારે ઉધનામાં DGVCLના કર્મચારીઓ મીટર લગાવી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક સામાજિક કાર્યકર્તાએ તેમની કામગીરીનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં કાર્યકર્તા કર્મચારીઓને પૂછી રહ્યા છે કે ગ્રાહકોની પરવાનગી કે સમજૂતી વગર આ કામગીરી કેમ થઈ રહી છે?. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા અન્ય વિસ્તારોના લોકો પણ જાગૃત થયા છે અને સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે એકજૂથ થઈ રહ્યા છે. 'પહેલા માહિતી આપો, પછી જ કામગીરી કરો'ઉધનાના રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી DGVCL દ્વારા યોગ્ય રીતે જનજાગૃતિ ફેલાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સ્માર્ટ મીટર લગાવવા દેશે નહીં. તેમની માંગ છે કે, પહેલા અધિકારીઓ આવે, અમને મીટરના ફાયદા અને તેના રીડિંગ વિશે સમજાવે, અમારા પ્રશ્નોના જવાબ આપે અને ત્યારબાદ જ મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરે. સ્થાનિકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. '4 લાખ મીટર છતાં અસંતોષ કેમ?'સુરતમાં અત્યાર સુધીમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, જે આંકડો મોટો છે. તેમ છતાં, હજુ પણ ગ્રાઉન્ડ લેવલ પર લોકોમાં આ ટેકનોલોજીને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે. વીજ કંપનીનો દાવો છે કે આનાથી ચોકસાઈ વધશે, પરંતુ ગ્રાહકોને લાગી રહ્યું છે કે તેમનું શોષણ થશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 2:00 pm

જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસનું કોમ્બિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા કાર્યવાહી, 12 બાઇક ડિટેઇન

જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેની અમલવારી ખાસ કરીને સિટી-એ ડિવિઝન વિસ્તારમાં જોવા મળી રહી છે. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા ગત રાત્રિએ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પી.આઈ. વી.એમ. ડોડિયા, પી.એસ.આઈ. વી.આર. ગામેતી, પી.એસ.આઈ. એમ.એન. રાઠોડ અને સ્ટાફ જોડાયા હતા. શહેરના દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચીની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહનચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફોર-વ્હીલરમાં બ્લેક ફિલ્મ હટાવવા, બાઈકમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૨થી વધુ બાઈક ડિટેઈન કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરી હતી, જેમાં કેટલાક લોકો પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:59 pm

દંપતીએ 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:વડોદરાના સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા, દુકાન બંધ કરીને છુમંતર થઈ ગયા

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીને તેમની પડોશમાં રહેવા આવેલા દંપતીએ સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરશો તો તમને સારું વળતર આપીશ તેમ કહીને તેમની પાસેથી14.80 લાખ રૂપિયા પડાવી લીધા છે. રૂપિયા પડાવ્યા બાદ ઠગ દંપતિ દુકાન બંધ કરીને ભાગી ગયું હતું. જેથી વેપારી દંપતી સામે ફતેગંજ પોલીસ સ્ટેશન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પરિમલ પાર્ક સોસાયટીમાં રહેતા ભૌમિકકુમાર વસંતકુમાર શાહ દાંડિયાબજાર વિસ્તારમાં લાઈટિંગનો ધંધો કરે છે, તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કેયુરભાઈ શેઠ અને તેમની પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેમના પરિચિત હતા. આ દંપતીએ સ્ટેશનરી અને મોબાઈલ એસેસરીઝના વેપારમાં વધુ નફો થવાની લાલચ આપી હતી અને તેમની પાસે રોકાણ કરવાની વાત કરી હતી. દંપતીએ વિશ્વાસમાં લઈને વેપારી તથા તેમના પરિવારજનો પાસેથી 14.80 લાખ રૂપિયા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લીધા હતા. પૈસા લીધાના બીજા જ દિવસે દંપતીએ પોતાની દુકાન બંધ કરી દીધી અને દંપતી ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં બહારગામ ગયા હોવાનું લાગ્યું હતું, પરંતુ લાંબા સમય તેમનો સુધી કોઈ સંપર્ક થયો નહોતો, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દંપતી અન્ય લોકો પાસેથી પણ પૈસા લઈને ફરાર થઈ ગયું છે. જેથી વેપારીએ કેયુર શેઠ તથા તેની પત્ની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે દંપતિની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:56 pm

તાપી પોલીસનું 'ઓપરેશન યુપી':25 વર્ષ પહેલાના ડબલ મર્ડર અને ધાડનો મુખ્ય આરોપી ઝડપાયો

કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વર્ષ 2000ના ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. શું હતો વર્ષ 2000નો એ રૂંવાડા ઉભા કરી દેતો ગુનો? માર્ચ 2000માં અંકલેશ્વરના આઠ જેટલા શખ્સોએ યાર્નના કાર્ટુન ભરેલી એક ટ્રક (નંબર MH-04-P-3476) લૂંટવાનું કાવતરું રચ્યું હતું. કીમ ચાર રસ્તાથી મુસાફર બની ટ્રકમાં બેઠેલા આરોપીઓએ વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી હતી. ત્યારબાદ ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી હતી. ક્રૂરતાની હદ વટાવતા આરોપીઓએ ક્લીનરની લાશ પર ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું અને બંનેના મૃતદેહો ફેંકી દઈ 7 લાખના યાર્નની લૂંટ કરી હતી. 25 વર્ષનો વનવાસ અને વેશપલ્ટો આરોપી ગીરીશ મિશ્રા પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી-વાળ વધારી વેશપલ્ટો કરીને રહેતો હતો. તે મોબાઈલ ફોનનો ઉપયોગ સુધ્ધાં ટાળતો હતો જેથી પોલીસના હાથે પકડાય નહીં. જોકે, તાપી પોલીસની બાજનજરથી તે બચી શક્યો નથી. પોલીસની ટીમે આ રીતે પાર પાડ્યું ઓપરેશન તાપી એસપીની સૂચના હેઠળ એલસીબી PI ડી.એસ. ગોહિલ અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શનમાં PSI એન.એસ. વસાવા અને તેમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી હતી. ASI ધર્મેશભાઇ અને પો.કો. રોનકભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ગામે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. અન્ય આરોપીઓની સ્થિતિ આ ગુનામાં અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા. જે પૈકીના બે આરોપીઓ ભરૂચ ખાતે જાપ્તામાંથી ફરાર થયા હતા, જેમાં શમશેરઅલી અખબરખાન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હવે ગીરીશ મિશ્રાની ધરપકડ બાદ, અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં એલ.સી.બી. PI ડી.એસ. ગોહિલ, PI જે.બી. આહિર, PSI એન.એસ. વસાવા, PSI કે.આર. પટેલ, ASI ધર્મેશભાઇ, પો.કો. રોનકભાઇ અને ડ્રા. ASI કિરણભાઇ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:53 pm

IPS મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી:હવે રાજકારણમાં એન્ટ્રી, શું ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની રહી છે ત્યારે એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારી?સૂત્રો મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. સ્વૈચ્છિક નિવૃતિ લઈને તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેઓ વિકાસના મુદ્દાઓ સાથે સીધા જ લોકો વચ્ચે કામ કરવા માગે છે. મનોજ નિનામાની નિવૃતિ ખાસ ચર્ચાનો વિષય બનીમાહિતી મુજબ, મનોજ નિનામા પોલીસ વિભાગમાં વિવિધ મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા અને ટ્રાફિક વિભાગમાં પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની ઓળખ એક કડક અને ઈમાનદાર અધિકારી તરીકે રહી છે. રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલુ છે, જેમાં નવા ચહેરાઓને તક આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા સમયે નિવૃત્ત અધિકારી તરીકે મનોજ નિનામાની એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. આગામી દિવસોમાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, ત્યારે મનોજ નિનામાનું નામ ભાજપમાંથી જાહેર થાય તો સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:52 pm

મોરબીમાં ભાજપને ઝટકો, પૂર્વ કોંગ્રેસ પ્રમુખની ઘરવાપસી:મુકેશભાઈ ગામી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, બે વર્ષ પછી પુનરાગમન

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષને ઝટકો લાગ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, જે છેલ્લા બે વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા, તેમણે ભાજપ સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં મુકેશભાઈ ગામી પોતાના સમર્થકો અને અગાઉ તેમની સાથે ભાજપમાં જોડાયેલા આગેવાનો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયનભાઈ અઘારા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પરિવાર દ્વારા મુકેશભાઈ ગામી અને તેમની ટીમને આવકારવામાં આવી હતી. મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, ક્ષણિક ક્રોધના કારણે તેઓ બે વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. જોકે, કોંગ્રેસ હંમેશા તેમના દિલમાં હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલીયાએ તેમને અનેક વખત કોંગ્રેસમાં પાછા ફરવા વિનંતી કરી હતી. આજે તેઓ કિશોરભાઈ ચીખલીયાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ફરી કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે તેઓ અને તેમની ટીમ તન, મન, ધનથી પ્રચાર-પ્રસારમાં જોડાશે તેવી તેમણે ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:41 pm

સાબરકાંઠા LCB અને SOGએ 5 ફરાર આરોપીઓને ઝડપ્યા:ખેરોજ, તલોદ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે. આ અંતર્ગત, સાબરકાંઠા LCB અને SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ પોલીસ સ્ટેશનના પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા LCB અને SOG ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર એક મહિલા આરોપીને ખેરોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી હતી. આ ઉપરાંત, ઇડરના વસાઈ ગામનો રહેવાસી રમણસિંહ અનારસિંહ સોલંકી, જે પણ બે વર્ષથી ફરાર હતો, તેને હિંમતનગરના જૂની સિવિલ સર્કલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓને અનુક્રમે ખેરોજ અને હિંમતનગર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજના અન્ય એક ગુનામાં બે વર્ષથી ફરાર ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉંમર ૩૪, રહે. રાધીવાડ, તા. ખેડબ્રહ્મા)ને ખેડબ્રહ્માના મેત્રાલ નજીક વીરકૃપા હોટલના પાર્લર પાસેથી ઝડપી લીધો હતો. તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો. વધુમાં, સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કિશનસિંહ મનહરસિંહ ચૌહાણ (રહે. માથાસુરિયા, તા. બાયડ, અરવલ્લી, હાલ રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ)ને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે SOG ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મારામારી અને એટ્રોસિટી કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર વિનયસિંહ ચંપકસિંહ જાડેજા (ઉંમર આશરે ૩૫, રહે. દહેગામડા, તા. ભિલોડા, અરવલ્લી, હાલ રહે. હાજીપુર ગામ, હિંમતનગર)ને ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:37 pm

નજુપુરામાં પાણી મુદ્દે રોષ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી:10 વર્ષથી નર્મદાના પાણી વગર 500 લોકો હિજરત કરવા મજબૂર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સિંચાઈના પાણીના અભાવે ગામની આશરે 700 થી વધુ વીઘા જમીન સૂકી ભઠ્ઠ બની ગઈ છે. આના પરિણામે ખેતી પર નિર્ભર પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતા અત્યાર સુધીમાં ગામમાંથી 500 થી વધુ લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે. ગામમાં પાયાની સુવિધા ગણાતા સિંચાઈના પાણીના અભાવે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીની અછતને કારણે દીકરા-દીકરીઓના લગ્ન પ્રસંગો કરવામાં પણ અવરોધ આવી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોએ લગ્ન માટે પણ ગામ છોડવાની નોબત આવી છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા, અંતે ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકર્તાએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:31 pm

IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:BMC કચેરી સામે ઉભો હતો ને પોલીસે દબોચ્યો, પેરોલ ફર્લોની ટીમે મોબાઈલ કબ્જે કરીને 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો

ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બીએમસી કચેરી સામે ઉભેલા એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતાં મૂળ ઉમરાળાના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા શખ્સને ઝડપી લઇ આ મામલે કુલ 6 શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. IPL પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો મળતી વિગતો અનુસાર, ગતરોજ પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે BMC કચેરી સામેથી એક શખ્સને અટક કરી નામ સરનામું પૂછવા સાથે તેની અંગઝડતી હાથ ધરી હતી. જેમાં અટકાયત કરાયેલ શખ્સે પોતાનું નામ રાકેશ નરોત્તમદાસ ઉંડવીયા ઉંમર વર્ષ 53 રહે.મૂળ વતન ઉ઼મરાળા હાલ ત્રિવેણી પાર્ક મૂનિડેરી રોડ ભાવનગર વાળો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની પાસેથી કબ્જે કરાયેલ મોબાઈલમાંથી હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતી એપ ડાઉનલોડ મળી આવી હતી. માસ્ટર આઈડી રમવા ઈચ્છુકોને ક્રેડિટ તથા આઈડી ફોરવર્ડ કરીને સટ્ટો રમાડતો આ અંગે રાકેશની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, એપ મારફતે સટ્ટો રમવા માટે માસ્ટર આઈડી સટ્ટો રમવા ઈચ્છુકોને ક્રેડિટ તથા આઈડી ફોરવર્ડ કરી પોતે સટ્ટો રમાડતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વિરલ લાલજીભાઈ વિરડીયા રહે.સુરત મૂળ ભાવનગર,દેવાંગ શરદભાઈ પટેલ રહે.કણબીવાડ-ભાવનગર, કિરીટ ઉર્ફે કેસી છોટાલાલ શાહ રહે.સુરત, રમેશ તુલસીભાઈ રહે.સુરત, શુભમ નંદકિશોરભાઈ કંધેડીયા રહે.રાજકોટ, અને રોહિત ગોબરભાઈ ગોહેલ રહે ચિત્રા ભાવનગર વાળાને માસ્ટર આઇડી ફોરવર્ડ કરી IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનું જણાવ્યું હતું. 6 શખ્સો સામે ગુનો નોંધાયોઆથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે રાકેશ નરોત્તમભાઈ ઉંડવીયાની ધરપકડ કરી રૂ.3,000ના મોબાઈલ સાથે રાકેશને નિલમબાગ પોલીસને હવાલે કરી કુલ 6 શખ્સો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:27 pm

સાવરકુંડલા રેન્જમાં સિંહબાળનું મોત:અમરેલી ગીર પૂર્વમાં બીમારીથી મૃત્યુ, વન વિભાગે તપાસ શરૂ કરી

અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળને ફેફસાં સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું છે. વન વિભાગ દ્વારા સિંહબાળના બીમારીથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે સિંહોના મોનિટરિંગ અને ડી-વોર્મિંગ (કીડા નિવારણ)માં સંભવિત અભાવ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે. આ ઘટના બાદ સિંહના મૃત્યુ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ બહાર ન જાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ હોવાના અહેવાલો છે. ગત વર્ષે પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં અનેક સિંહોના બીમારીના કારણે મોત થયા હતા. ખાસ કરીને સિંહબાળમાં મૃત્યુદર વધુ હોવો ચિંતાજનક માનવામાં આવે છે. વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરી રહ્યું છે અને સિંહોના આરોગ્ય પર ખાસ નજર રાખવા માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:23 pm

ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:વડોદરામાં 23 વર્ષીય યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી

વડોદરાના બાજવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ મારફતે અપમાનજનક મેસેજ અને કોમેન્ટ અંગે ફરિયાદ નોંધાવી છે. બાજવાના જ યુવકે યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી હતી. જવાહરનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુજબ યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના અંગત ઉપયોગ માટે ખરીદેલા આઈફોન મોબાઈલમાં તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. 20 દિવસ પહેલા mahesh_sam_event_baroda નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી, જે યુવતીએ સ્વીકારી નહોતી. ત્યારબાદ તા. 6 એપ્રિલ 2026ના રોજ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવારજનો સાથેના ફોટાઓની સ્ટોરી મુકેલી હતી. આ સ્ટોરી જો્યા બાદ આરોપી ઇન્સ્ટાગ્રામ ધારકે ફોટાઓ પર 1000થી લઈને 5000 સુધીની રકમ લખીને તા. 7 એપ્રિલ 2026ના રોજ મેસેજ મોકલ્યો હતો. યુવતીએ આ અંગે પુછપરછ કરતાં પણ કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ સ્ટોરી પર અત્યંત અપમાનજનક કોમેન્ટ્સ કરી હતી. આ બનાવ અંગે યુવતીએ પોતાની જેઠાણીને જાણ કરતાં તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દેખાતો આરોપીની ઓળખ મહેશભાઈ ભરતભાઈ પરમાર, (રહેવાસી શુભ ટેનામેન્ટ, બાજવા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:21 pm

'ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા':'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતીઓ વિશ્વ સ્તરે ડંકો વગાડનારા છે', સુરત ભાજપ પ્રમુખનો પ્રહાર

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને સુરતમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે ખડગેના શબ્દોને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ માનસિકતા ગુજરાત વિરોધી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા:પરેશ પટેલસુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેજીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે તેમની મૂર્ખતા દર્શાવે છે. સાડા છ કરોડ ગુજરાતીઓ જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કરોડો ગુજરાતીઓ આનો વિરોધ કરશે. તેમણે ઉમેર્યું કે, જે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે, તેમને અભણ કે મૂર્ખ કહેવા તે અતિશયોક્તિ છે. ખડગેએ સમજવું જોઈએ કે ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ આજે આખું વિશ્વ માની રહ્યું છે. 'ગાંધી, સરદાર અને મોદીની ભૂમિનું અપમાન સહન નહીં થાય'પરેશ પટેલે ઈતિહાસ અને વર્તમાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, જેમણે ભારતને આઝાદી અને એકતા અપાવી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ આ જ માટીમાંથી આવે છે. જ્યારે નરેન્દ્ર મોદીને આખું વિશ્વ 'વિશ્વગુરુ' તરીકે સ્વીકારી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હીન કક્ષાના શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે. ગુજરાતીઓ ક્યારેય પોતાના નેતાઓ અને પોતાની ઓળખનું અપમાન સહન કરતા નથી. 'કોંગ્રેસને ગુજરાતીઓ સાથે શું વાંધો છે?'ભાજપ પ્રમુખે કોંગ્રેસની મનશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ સામે વાંધો શું છે? શા માટે તેઓ વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે?. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે એ જ પ્રતિમા તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓને આકર્ષી રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. કોંગ્રેસ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે. 'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતની તાકાત'ગુજરાતના આર્થિક યોગદાન વિશે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો 8 ટકા જેટલો જીડીપી ફાળો છે. પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર છે. જે રાજ્ય દેશને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હોય, તેના વિશે આવા નિવેદનો આપવા તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતીઓ મહેનતુ છે અને પોતાની બુદ્ધિથી શૂન્યમાંથી સર્જન કરનારા છે, તેમને અભણ કહેવા તે વાસ્તવિકતાથી મોં ફેરવવા જેવું છે. ખડગે માફી માંગે તેવી ભાજપની માંગસુરત ભાજપ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનશે. ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને ખુલ્લી પાડશે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસે પગ પર કુહાડો માર્યો!રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું આ નિવેદન ભાજપ માટે મોટું હથિયાર બની ગયું છે. ભાજપ આને 'ગુજરાતી અસ્મિતા'નો મુદ્દો બનાવીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. પરેશ પટેલના નેતૃત્વમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેમ જણાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:16 pm

ભાવનગર મનપા ચૂંટણીનો ત્રિપાખીયો જંગ:કોંગ્રેસમાં 'કોકડું' ગૂંચવાયું, AAP ને 4 વોર્ડમાં ઉમેદવારોની તંગી, ભાજપ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના 13 વોર્ડની બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, મનપા ની સતા મેળવવા માટે ત્રણેય પક્ષો એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મામલે મુખ્ય ત્રણેય પક્ષોમાં અલગ-અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે જેમાં આપ ને ચાર વોર્ડ માં ઉમેદવારો મળતા નથી, જ્યારે કોંગ્રેસ 13 વોર્ડમાં કોકડું ગુંચવાયું જ્યારે ભાજપ છેલ્લી ઘડીએ નામો જાહેર કરશે... છેલ્લી ઘડીએ 'સરપ્રાઈઝ' આપવાની તૈયારી ​સત્તાધારી ભારતીય જનતા પાર્ટી હંમેશની જેમ 'વેઇટ એન્ડ વોચ'ની રણનીતિ અપનાવી રહી છે, જ્યારે અન્ય પક્ષો યાદી જાહેર કરવામાં મથામણ કરી રહ્યા છે, ત્યારે ભાજપ હજુ પણ પેનલ સ્ક્રુટિનીમાં વ્યસ્ત છે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ છેલ્લી ઘડીએ જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે જેથી બળવાની શક્યતા ઘટાડી શકાય અને વિરોધ પક્ષોની વ્યૂહરચના સામે નવા અને મજબૂત ચહેરાઓ મેદાનમાં ઉતારી શકાય. જયારે ભાજપના ઉમેદવારો ના નામો પણ જાહેર નથી થયા ત્યાં તો શહેરમાં આજે રાત્રે કાર્યાલય ન ઉદ્ધાટન કરવામાં આવશે. ​13 વોર્ડમાં આંતરિક વિખવાદ અને 'કોકડું' ગૂંચવાયું ​ભાવનગર મનપાના તમામ 13 વોર્ડમાં મજબૂત દેખાવ કરવા મથી રહેલી કોંગ્રેસ અત્યારે આંતરિક જૂથબંધી અને ટિકિટ વિતરણના વિવાદમાં ફસાઈ હોય તેમ લાગી રહ્યું છે, અનેક બેઠકો પર દાવેદારોની સંખ્યા વધુ હોવાથી અને પક્ષના જૂના જોગીઓ વિરુદ્ધ નવા ચહેરાઓની લડાઈમાં હજુ સુધી તમામ નામો પર મહોર મારી શકાઈ નથી,કોંગ્રેસ માટે 13 વોર્ડમાં ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસને વોર્ડ નંબર 1 માં એક નામ બાકી, વોર્ડ નંબર 2 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 3 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 4માં બે નામ બાકી, બોર્ડ નંબર 5 માં એક નામ બાકી, વોર્ડ નંબર 6 માં ચાર નામ બાકી, વોર્ડ નંબર 7 માં બે નામ બાકી, વોર્ડ નંબર 8 માં બે નામ બાકી, વોર્ડ નંબર 9 માં એક નામ બાકી, વોર્ડ નંબર 10 માં બે નામ બાકી, વોર્ડ નંબર 11 માં ચાર નામ બાકી, વોર્ડ નંબર 12 માં એક નામ બાકી જ્યારે વોર્ડ નંબર 13 માં એક નામ બાકી સહિત કુલ 13 વોર્ડમાં 27 જેટલા ઉમેદવારો ના નામો બાકી છે, કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલવોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલવોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારાવોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયાવોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખરવોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયાવોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલવોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલવોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણીવોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલવોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈવોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલવોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલવોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલવોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ ​AAP 4 વોર્ડમાં ઉમેદવારો શોધવા પડકાર ​રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ કેટલાક વોર્ડમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને આક્રમક શરૂઆત કરી છે જોકે, ભાવનગરના કુલ 13 વોર્ડમાંથી 4 વોર્ડમાં પક્ષને સક્ષમ ઉમેદવારો મળતા ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, અમુક વોર્ડમાં સંગઠન નબળું હોવાથી અથવા જીતી શકે તેવા ચહેરાઓના અભાવે 'આપ' માટે આ 4 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા મુશ્કેલ બન્યા છે, આપમાં વોર્ડ નંબર 4 માં ચારે ચાર ઉમેદવારો બાકી, વોર્ડ નંબર 6 માં ત્રણ નામ બાકી, વોર્ડ નંબર 7 મા ત્રણ નામો બાકી, વોર્ડ નંબર 9 માં એક નામ બાકી, વોર્ડ નંબર 10 માં એક નામ બાકી જ્યારે વોર્ડ નંબર 12 માં ત્રણ નામો બાકી સહિત 15 જેટલા ઉમેદવારો ના નામો બાકી છે, આપ ના ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 ઈલાબેન પરમારવોર્ડ નં.1 બાલાભાઈ પરમારવોર્ડ નં.1 પ્રવીણસિંહ સરવૈયાવોર્ડ નં.1 હીરાબેન અલગોતર વોર્ડ નં.2 હેતલબેન ઝાપડીયાવોર્ડ નં.2 મુકેશભાઈ મેટાળીયાવોર્ડ નં.2 જગદીશભાઈ ભોકળવાવોર્ડ નં.2 યાસ્મીનબેન મલેક વોર્ડ નં.3 હર્ષદીપસિંહ જાડેજાવોર્ડ નં.3 જ્યોતિબેન સાપરાવોર્ડ નં.3 તોસીફ જુણેજાવોર્ડ નં.3 રસીલાબેન ચાવડા વોર્ડ નં.5 રાઠોડ ચંદુભાઈવોર્ડ નં.5 ભાવના ત્રિવેદીવોર્ડ નં.5 રેશ્માબેન શેખવોર્ડ નં.5 શબનમ પરમાર વોર્ડ નં.6 સલીમભાઈ મહેતર વોર્ડ નં.7 કલોત્રા સુનિલ વોર્ડ નં.8 બીનાબેન ચૌહાણવોર્ડ નં.8 ગીતાબા રાઠોડવોર્ડ નં.8 ઘનશ્યામભાઈ દેસાઈવોર્ડ નં.8 મલદા જુબેર એમ.મલદા વોર્ડ નં.9 ધવલ અંઝારાવોર્ડ નં.9 રેખાબેન મકવાણાવોર્ડ નં.9 મહેન્દ્રસિંહ સરવૈયા વોર્ડ નં.10 ચૌહાણ સેજલબેન વોર્ડ નં.10 સુધીરભાઈ તેજાણીવોર્ડ નં.10 હીરાભાઈ લકુમ વોર્ડ નં.11 સરવૈયા હરેશ વોર્ડ નં.11 મનીષા હિરાણીવોર્ડ નં.11 પ્રેરણા રામૈયાવોર્ડ નં.11 અશ્વિન સિહોરા વોર્ડ નં.12 જાગૃતિ બેન વોર્ડ નં.13 સંજય ભાઈવોર્ડ નં.13 માયાબેનવોર્ડ નં.13 ખસિયા જયદીપવોર્ડ નં.13 વાલા કૈલાસબા

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:12 pm

દ્વારકામાં જુગાર પર પોલીસનો દરોડો:બે આરોપી ઝડપાયા, ₹15,450 રોકડા જપ્ત

દ્વારકા ટાઉન વિસ્તારમાં પોલીસે જુગાર પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપી, ભરતસિંહ જાડેજા અને કારાભાઈ માડમ, જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹15,450 રોકડા જપ્ત કર્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. વિપુલ કોઠીયાએ ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન વિસ્તારમાં જુગાર વિરુદ્ધ કાર્યવાહી તેજ બની છે. આ દરોડો પણ આ જ ઝુંબેશના ભાગરૂપે પાડવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધ્યક્ષની સૂચના તેમજ પી.આઈ. વિપુલ કોઠીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહેલ સહિતની ટીમે બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:12 pm

વેરાવળ-સોમનાથ બાયપાસ પર હિટ એન્ડ રનમાં માતાનું મોત:મોપેડ પર માતા-પુત્રને ટક્કર, પુત્ર ગંભીર; ટ્રક ચાલક ફરાર

વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 65 વર્ષીય ડાયાબેન દેવરાજભાઈ ગળચરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર ભગવાન ઉર્ફે ભાર્ગવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર, માતા-પુત્ર મોપેડ (નંબર GJ32AC7701) પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ભાર્ગવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી આ મામલે મૃતકના પુત્રએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા હાઈવે પરના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં રોષ વેરાવળ-સોમનાથ બાયપાસ પર સતત વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના મતે ભારે વાહનોની બેફામ ગતિ અકસ્માતનું મુખ્ય કારણ છે.બાયપાસ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના સાધનોનો અભાવ છે.વારંવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, અચાનક બનેલી આ ઘટનાથી ગળચર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:02 pm

વીજ માંગમાં 3500 મેગાવોટનો ઘટાડો, રાજ્યને દૈનિક 60 કરોડનું નુકસાન:એક મહિનાની અંદર જ 600 કરોડ ધોવાયા, ખાડી દેશોના યુદ્ધથી ઉદ્યોગો પર મંદી

ખાડી દેશોમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પ્રભાવ હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદીનું માહોલ સર્જાતા રાજ્યમાં વીજળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં અંદાજે 3500 મેગાવોટ જેટલી વીજ માંગ ઘટી હોવાનું સામે આવ્યું છે. એક મહિનાની અંદર જ 600 કરોડનું નુકસાનઉદ્યોગોની ગતિ ધીમી પડતા વીજ વપરાશમાં ઘટાડો થયો છે, જેના કારણે વીજ વિતરણ કંપનીઓના વેચાણ પર સીધી અસર પડી છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યને દૈનિક આશરે 60 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક મહિનાની અંદર આ નુકસાનનો આંકડો અંદાજે 600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડોખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે, જેના સીધા અસરરૂપે નિકાસ આધારિત ઉદ્યોગો પર અસર પડી છે. ઓર્ડરોમાં ઘટાડો અને ઉત્પાદન ધીમું પડતાં વીજળીની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાવર ગ્રીડ પર ભારણ ઘટતાં નવી ચિંતા ઊભીવિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પાવર ગ્રીડ પર ભારણ ઘટવું સામાન્ય રીતે સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે આર્થિક મંદીનું સૂચક છે. ઉદ્યોગોની ગતિ ફરી સામાન્ય બનશે ત્યારે જ વીજ માંગમાં વધારો જોવા મળશે. આ પરિસ્થિતિ રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે, કારણ કે વીજળીની માંગ ઉદ્યોગોની સ્થિતિનો મહત્વનો સૂચક છે. જો આવું જ ચાલુ રહ્યું, તો આગામી સમયમાં વધુ આર્થિક પડકારો ઊભા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 1:00 pm

કોંગ્રેસમાં વોર્ડ નંબર 13 બાદ 17માં નારાજગી સામે આવી:પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુંમર સામે જ્ઞાતિવાદ કરતા હોવાના કર્યા આક્ષેપ, રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં જયેશ રાદડિયા પણ બેઠકમાં હતા હાજર

રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકોટ મહાનગરપાલિકાના 40 ઉમેદવાર કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા જેમાં પ્રથમ વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે આજે બીજી યાદી જાહેર થાય એ પહેલા વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી પ્રભારી સામે જ્ઞાતિવાદ કરતા હોવાના આરોપ લગાવ્યા છે. ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મહાઉસમાં બેઠક મળી હતી જેમાં જયેશ રાદડિયા પણ હાજર હતા. સ્થાનિક આગેવાનને ટિકિટ આપવી જોઈએ જેમાં પક્ષે ભૂલ કરી છે પ્રદેશ પ્રમુખનું પણ મેં ધ્યાન ડોઇયું છે. રાજકોટ વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર જ્ઞાતિવાદ કરી રહ્યા છે. પ્રભારી માટે દરેક જ્ઞાતિના લોકો એક સમાન હોવા જોઈએ પરંતુ રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમરે જ્ઞાતિવાદ કરી ટિકિટ ફાળવણી કરી છે. રાજકોટના વોર્ડ નંબર 17માં પાટીદાર સમાજના શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી અને ટિકિટ ફાળવણી અંગે નિર્ણય કર્યો હતો જેમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાને ટિકિટ ફાળવવી જોઈએ. વર્ષ 2015માં હું આ વિસ્તારમાં ચૂંટણી લડી વિજેતા બન્યા હતો અને ત્યારથી સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે કોર્પોરેટર હતા ત્યારે અને નો હતા ત્યારે પણ પાછલા 5 વર્ષ લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. લોકો પણ એવું ઈચ્છે છે કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે પરંતુ હવે પક્ષનો જે નિર્ણય છે તેને માન્ય રાખી અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મહેનત કરીશું. હું કોંગ્રેસ પક્ષમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું મારી નારાજગી માત્ર જેનીબેન ઠુંમર સામે છે કારણ કે તેમને ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા વગર ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિવાદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે એ પહેલા રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં હસનવાડી વિસ્તારમાં 25થી 30 લોકો એકઠા થઇ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 17ના 3 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબા જાડેજા અને શૈલેષ રૂપાપરાને ઉમેદવાર જાહેર કર્યા છે હવે માત્ર એક OBC બેઠક પર ઉમેદવાર જાહેરાત બાકી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:55 pm

સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મસાલાની સિઝન દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે વિભાગની ટીમે લાયસન્સ વિના કાર્યરત 12 મસાલા પેઢીઓ પર દરોડા પાડી 45 શંકાસ્પદ નમૂના જપ્ત કર્યા હતા. આ નમૂનાઓને તપાસ અર્થે ભુજની લેબમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે રિવરફ્રન્ટ રોડ, 80 ફૂટ રોડ અને દૂધરેજ રોડ પર આવેલી મસાલાની પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ઘણી પેઢીઓ FSSAI લાયસન્સ વિના જ સિઝનલ વેપાર કરતી હોવાનું જણાયું હતું. ટીમે ધાણાજીરું, મરચાં, હળદર, રાઈ, હીંગ અને જીરું સહિતના વિવિધ મસાલાના નમૂના લીધા હતા. વિભાગ દ્વારા તમામ પેઢીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી એક અઠવાડિયામાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરે અને નિયમ મુજબ સ્વચ્છતા જાળવે. જો આ સૂચનાનું પાલન નહીં થાય, તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન કુલ 38 ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં લસ્સી, મઠ્ઠો, પનીર ટીકા અને વિવિધ મસાલાનો સમાવેશ થાય છે. અગાઉ લેવાયેલા 10 સેમ્પલોના રિપોર્ટમાં એક 'સેવ-ફરસાણ'નો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, જે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:43 pm

હિંમતનગરના ભોલેશ્વરમાં ગટર ઉભરાઈ, રોડ પર પાણી ભરાયા:પાલિકાતંત્ર મોડે મોડે સફાઈ કરવા પહોંચ્યું, અવરજવર પ્રભાવિત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ રહી હતી. ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ગટરના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે ચાલીને જવું મુશ્કેલ બન્યું હતું અને લોકોને ફરીને જવાની ફરજ પડી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભોલેશ્વર વિસ્તારમાં આવેલી ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ગટર ભરાઈ ગઈ હતી. ઢાળ અને ખુલ્લા પ્લોટમાંથી પસાર થઈને ગટરનું પાણી સ્થાનિક રહીશ પ્રેમીલાબેન પંડ્યાના ઘર આગળના રસ્તા પર ભરાઈ ગયું હતું, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા હિંમતનગર નગરપાલિકામાં જાણ કરવામાં આવતા, ગટર વિભાગના કર્મચારીઓ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ભરાયેલી ગટરની સફાઈ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગટરમાં કચરો અને કપડાં ભરાઈ જવાને કારણે પાણી ઉભરાયું હતું. ગઈકાલે વરસાદી પાણી હતું જે નીકળી ગયું હતું, પરંતુ ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતા સમસ્યા યથાવત રહી હતી. હાલ ગટરની સફાઈ થઈ ગઈ છે, પરંતુ ગટરનું પાણી હજુ પણ રોડ પર ભરાયેલું છે. આ પાણી સુકાય અથવા નીકળી જાય પછી જ અવરજવર સામાન્ય થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:40 pm

ઢોસાના ખીરાથી થયેલા બે બાળકીના મોતનું રહસ્ય ઘેરાયું:ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી કેસમાં આવી શકે નવો ટ્વિસ્ટ, FSLએ ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. એ સાથે જ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. શું છે સમગ્ર ઘટના?ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ‘અન્ય કોઈને ખીરાથી ફૂડ પોઈઝનિંગ ન થયું’ આ મામલે L ડિવિઝન ACP ડી.વી રાણાએ જણાવ્યું હતું કે ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે બે બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્રણ મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે. બાળકીના ફીંડીગ મુદ્દે ડોક્ટરે શું કહ્યું? વિમલના ઘરે પોલીસ તેમજ FSLની ટીમે તપાસ કરી છે. દુકાનદારના CCTV ફૂટેજમાં બીજા કોઈ ગ્રાહક ફરિયાદ લઈને આવ્યા હતા કે નહી તેનું પણ ચેંકીગ થયુ હતું. ડોક્ટરે પોલીસ સમક્ષ એક હકીકત જણાવી હતી કે, માતાને ફૂડ પોઈઝિંગની અસર હોય અને બાળકી ફીંડીગ કરતી હોય તો તેને ફુડ પોઈઝનની અસર થતી નથી. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી પણ શક્યતા છે. હાલ FSL રિપોર્ટને 15 દિવસથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે. પરિવારે એ જ સાંજે અને બીજા દિવસે પણ ઢોસા ખાધા હતા આ ઘટના બહાર આવી તે સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું, 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:39 pm

માર્ગો પર ઘાસચારો નાખવા પર કલેક્ટરના પ્રતિબંધનો ઉલાળ્યો:હિંમતનગર ધાંણધા ફાટક પાસે રોડ પર ઘાસચારાને લીધે ગાયોના આતંકથી અકસ્માતનો ભય

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગો પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, હિંમતનગરમાં તેની અમલવારીમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને ધાંણધા રેલવે ફાટક નંબર 86 પાસે નિયમિતપણે ઘાસચારો નાખવામાં આવતો હોવાથી ગાયોના મોટા ટોળા જમા થાય છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ટ્રેનના હોર્નથી ગાયો ભડકતા દોડધામહિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર સ્થિત ધાંણધા ફાટક પાસેની સ્થિતિ વધુ ગંભીર છે. જ્યારે ખેડબ્રહ્માથી અસારવા જતી મેમુ ટ્રેન પસાર થવા માટે ફાટક બંધ કરવામાં આવે છે, ત્યારે ટ્રેનના જોરદાર હોર્નથી રોડ પર ઉભેલી ગાયો ભડકીને અસ્તવ્યસ્ત દોડવા લાગે છે. ફાટક બંધ હોવાના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગેલી હોય છે, તેવામાં ભડકેલી ગાયો વાહનચાલકો સાથે અથડાતા અકસ્માતની ભીતિ સર્જાય છે. પરીક્ષાર્થી દીકરીને ગાયે હડફેટે લીધીસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી હતી. પરીક્ષા આપવા જઈ રહેલી એક વિદ્યાર્થિનીને ગાયોના ટોળાએ હડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, ગાયો વારંવાર રેલવે ટ્રેક પર ચડી જતી હોવાથી ટ્રેન અકસ્માતનું જોખમ પણ સતત તોળાઈ રહ્યું છે. તંત્રની ઉદાસીનતા સામે રોષસ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ કરાવી ઘાસચારો નાખનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી. તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરીશું: ચીફ ઓફિસર આ મામલે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રોડ પર ઘાસચારો નાખવા અંગે અને ગાયોના ટોળાની સમસ્યા બાબતે તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:34 pm

કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મેયરની બાદબાકી, ભરત બારડે વ્યક્ત કરી નારાજગી !

ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી માટે શહેર ભાજપ દ્વારા 13 વોર્ડ માં મુરતિયા ગોતી રહી છે ત્યારે ગુજરાત ભાજપ કમલમ ખાતે પાલમેન્ટરી બોર્ડ ની બેઠક યોજાઇ રહી છે, જેમાં શહેર પ્રમુખ સહિત સંગઠનના કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં ભાજપ ના મેયર ભરત બારડ ની બાદબાકી કરતા નારાજગી વ્યક્ત કરી હતી, ​રાજ્યમાં હાલ આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભાવનગરના રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠકમાં ભાવનગરના મેયરને આમંત્રણ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે મેયરે પોતાની પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય અને થોડી નારાજગી વ્યક્ત કરી હતી. ​મેયરએ કહ્યું હું અવઢવમાં છું દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે, મેં સામેથી શહેર પ્રમુખને પૂછ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ આદેશ નથી, હું પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું અને સામાન્ય રીતે દરેક વખતે મેયરને સાથે રાખીને જ ચર્ચા થતી હોય છે. ભાવનગરના મેયરની ક્રેડિટ હોય છે, ત્યારે આ વખતે મને જાણ ન કરાતા હું અવઢવમાં છું કે ક્યાંક મિસ્ટેક થઈ રહી છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પાછળ કોઈનો બદ ઈરાદો નહીં હોય તેવી તેમને ખાતરી છે. ​નિર્ણય પ્રક્રિયામાં મેયરનું મહત્વ ​પાર્લામેન્ટરી બોર્ડની પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા મેયરે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર આખા શહેરમાં ફર્યા હોય છે, કયા નગરસેવકે કેવું કામ કર્યું છે, ક્યાં સફળતા મળી છે અને ક્યાં ઉણપ રહી છે, તેનો સચોટ ખ્યાલ મેયરને જ હોય છે તેથી ટિકિટ વિતરણ કે અન્ય મહત્વના નિર્ણયોમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ તેવું તેમનું અંગત માનવું છે. ​નવા ચહેરા અને વરિષ્ઠોનું મિશ્રણ ​આ ભારતીય જનતા પાર્ટી છે, અહીં કોની પસંદગી થશે તે અગાઉથી કહી શકાય નહીં, મને પણ ખબર નહોતી કે હું મેયર બનીશ, જે પણ આવશે તે શ્રેષ્ઠ ઉમેદવાર હશે, મેયરે યુવાનોને તક આપવાની સાથે વરિષ્ઠોના અનુભવને પણ પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, “યુવાનોની સાથે બે-ચાર વરિષ્ઠો પણ હોવા જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે. આ મારો વ્યક્તિગત વિચાર છે.”

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:30 pm

ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનનો રાજ્યભરમાં વિરોધ:ભરૂચમાં ભાજપના મૌન ધરણા, માફીની માંગ કરાઈ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના ગુજરાતીઓ અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ગુજરાતીઓ અભણ હોવાના ખડગેના નિવેદનના વિરોધના ભાગરૂપે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખડગેના નિવેદનની સખત નિંદા કરી હતી. ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપ પ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ અને માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે. ભાજપના આગેવાનોએ માંગ કરી હતી કે મલ્લિકાઅર્જુન ખડગે પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેર માફી માંગે. આ મુદ્દે રાજ્યભરમાં રાજકીય તણાવ વધવાની શક્યતા છે. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આ નિવેદનની રાજકીય અસરો જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:26 pm

ઇટાલિયાનું ઓડિયો-વીડિયો WAR, પોલીસ ને હર્ષ સંઘવી પર આક્ષેપ:પોલીસે વોરંટ ઇસ્યૂ કરતા ગૃહમંત્રીને ઘેર્યા, રાત્રે ઓડિયો ક્લિપ વાઇરલ થઈ, કહ્યું-બનાવનારાને પણ બુદ્ધિ નથી

ગત 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના ઘર પર પોલીસ મહેસાણામાં 2020માં પરવાની વિના રેલી કાઢવા મામલે સમન્સ આપવા માટે ગઈ હતી ત્યાર બાદ આપના ધારાસભ્ય ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું હતું કે, સુરત પોલીસે મારા ઘરે પહોંચી મારા માતા સાથે ગાળાગાળી કરી હતી. આ વિવાદ બાદ એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં સામેની વ્યક્તિને કહે છે કે, પોલીસ ઘરે સમન્સ આપવા આવે તો આવવા દે, આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.આ કથિત ઓડિયો ક્લિપ મામલે ઇટાલિયાએ કહ્યું કે, આ ઓડિયોને AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બનાવનારાને બુદ્ધી નથી. આ પણ વાંચો: 'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી નથી પડતા, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે' વાઇરલ ઓડિયોમાં શું વાતચીત છે? જીતુ: હા ગોપાલભાઈ...ગોપાલ: હા જીતુ... બોલો.જીતુ: હા ગોપાલભાઈ ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના હતા વોરંટ બજાવવા આજકાલમાં...ગોપાલ: હશે... ભલેને આવે.જીતુ: એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને...ગોપાલ: શેનો નિયમ?જીતુ: એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા ઘરે જાય અને પછી સાબિતી હાટુ પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે અને પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ન્યાં ગયા હતા એમ એને પકડવા એમ.ગોપાલ: હા તો પાડવા દો ફોટા... એ તો સારું ે આપણે? આપણે કહેવાનું કે ભાજપવાળા અમારી પાછળ પડ્યા છે બીજું શું...જીતુ: પણ તમે ઘરે નહીં હો ને?ગોપાલ: હા પણ માજી તો મળશે ને? આપણે કહેવાનું થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.જીતુ: એમ નહીં...ગોપાલ: એ તો મૂક ને ભાઈ હું સમજી ગયો, એમાં કંઈ ફાટી નથી પડવાનું હોય... એ પોલીસવાળાને આવવા દો... એ તો હું જોઈ લઈશ પછી. ‘મારા પરિવાર સાથે ગેરવર્તનનો ભાંડો ફોડ્યો તો AI ઓડિયો વાઇરલ થયો’આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચોરી અને એના ઉપર સીનાજોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાઇરલ થઈ ગયો! ‘અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં?’અરે વાહ! તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે, કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિષ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો. ‘અમે તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી’કંઈ વાંધો નહીં, કરો વાઇરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધુ FIR કરીને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ કંઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું, એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાજોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો! અને એ ઓડિયો પણ 8 પાસને છાજે એવો છે. 'અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે?' કોઈ નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતા માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો, એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં નવો નિયમ આવ્યો છે એમાં પછી આ ફોટો અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ! આવું જ્ઞાન મને કોણે આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું. હું પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે અને કયો નિયમ નથી. એમાં મને કાંઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમ પણ કહે છે કે બા ઘરે એકલા છે. ઓહોહો... આટલી બધી ફેબ્રિકેટેડ વાત! ‘એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે’બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કંઈ લેવા-દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમારી ઘરે આવું થશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે, એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કંઈ વાતચીત એણે સામેલ કરી છે અને મેં જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવી આટલી-આટલી પ્રકારે દાદાગીરી કરી છે. જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપની અંદર ચર્ચા જોડવામાં આવી છે. ‘હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે’એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે એવો. અમે તો એમ પણ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવી-દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં વટવા સાઈડ પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજ પણ શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી-આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ માર મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી ત્યાં તો ઓડિયો બનાવ્યો અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભરેલા સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવ્યો. ભાઈ કોઈ સનસનીખેજ નથી, સનસની તો 2027માં સનસનીખેજ ભરેલા સમાચાર આવવાના છે. ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે?: ઇસુદાન ગઢવીઆ અંગે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવાનો ષડયંત્ર રચાયું છે. શું ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના નાગરિકોની ન્યાય મળી જશે? શું તમને ખ્યાલ છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલ ઇટાલિયાને તમે જેટલા પરેશાન કરશો એટલા જ ગુજરાતના લોકો રસ્તા પર ઉતરી આવશે. ભાજપના જે કાર્યકર્તાઓ ગોપાલભાઈના ફેન છે એ પણ આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:11 pm

નવસારીના કબીલપોર GIDCમાં વહેલી સવારે આગ:લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન

નવસારી શહેરના કબીલપોર GIDC વિસ્તારમાં આવેલી અક્ષર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નવસારી ફાયર બ્રિગેડની ટીમે આશરે અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 'અક્ષર એન્ટરપ્રાઇઝ' કંપની સોલર ઇન્વર્ટર માટે લાકડાના પેકિંગ બોક્સ બનાવવાનું કામ કરે છે. આજે મળસ્કે અંદાજે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. કંપનીમાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના 20 સભ્યોની ટીમે 3 ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે અઢી કલાક સુધી સતત પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, કંપનીમાં રહેલો લાકડાનો જથ્થો અને તૈયાર બોક્સ બળીને ખાખ થઈ જતાં સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:10 pm

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર:ત્રણ સ્થળોએ ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી કરવામાં આવ્યું છે. જળ એ જ જીવન ના સૂત્રને સાર્થક કરતા, આ પરબ સુરેન્દ્રનગર શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ નાત-જાતના ભેદભાવ વિના શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાહદારીઓ અને જનસમુદાયને સરળતાથી ઠંડું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પરબ મહેતા મોબાઈલ (ફોનવાલે), A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે., રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક, શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ જેવા સ્થળોએ કાર્યરત કરવામાં આવી છે આ સેવાકીય કાર્યના શુભારંભ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી. આ આયોજન દ્વારા ઉનાળામાં લોકોને ઠંડું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:09 pm

મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે રોડ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકા અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. વિવિધ આસામીઓ દ્વારા રોડની જગ્યામાં બે ફૂટથી લઈને છ ફૂટ સુધી દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરાયું. મચ્છુ કેનાલની બાજુમાં નવા રોડના નિર્માણ માટે આ કામગીરી ચાલી રહી છે. આ રોડના કામમાં અવરોધરૂપ થતા દબાણોને કારણે મહાપાલિકાએ આ પગલું ભર્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે. તેમણે લોકોને સ્વેચ્છાએ સરકારી જમીન પરના દબાણો હટાવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:05 pm

ગોધરા રાયોટિંગનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા ઝડપાયો:પોલીસનો વેશપલટો, મહારાષ્ટ્રની હોટલમાંથી 6 મહિના બાદ દબોચાયો

ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપાયો છે. પંચમહાલ SOGની ટીમે છ મહિનાથી ફરાર આ આરોપીને ફિલ્મી ઢબે વેશપલટો કરીને દબોચી લીધો હતો. ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર રાયોટિંગના ગુનામાં ઝાકીર ઝભા મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ હતો. તે મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGની ટીમ સક્રિય થઈ હતી. આરોપી ઓળખી ન જાય તે માટે પોલીસ જવાનોએ પોતાની ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. SOGની ટીમે મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નાસિક રોડ પર આવેલી 'હોટલ અના સાગર' માંથી ઝાકીર ઝભાને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટના 19 સપ્ટેમ્બર, 2025 ની મોડી રાત્રે બની હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભાને પોલીસ મથકે બોલાવવાને લઈને ગેરસમજ થતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકે ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ મથકનો ઘેરાવો કરવા ઉપરાંત પોલીસ ચોકી નંબર ચારમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે 100 થી વધુ ઇસમોના નામ જોગ અને 200 થી વધુના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 12:04 pm

આગ લાગી કે લગાવવામાં આવી?:ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર નજીક કપડાના જથ્થામાં વહેલી સવારે આગ લાગી, તપાસ કરવા પોલીસને રજૂઆત

શહેરના ગોમતીપુર વિસ્તારમાં શાકમાર્કેટ નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહારના ભાગે ફૂટપાથ પર જુના કપડા વેચીને ગુજરાત ચલાવનારા વેપારીના કપડાના જથ્થામાં આજે 8 એપ્રિલે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લગાવવામાં આવી કે લાગી હતી તે મુદ્દે અસમંજસ છે. ત્યારે આ મુદ્દે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ આવેદનપત્ર આપી તપાસની માગ કરી હતી. વહેલી સવારે કપડાના જથ્થામાં આગ લાગી મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં ચાર રસ્તા નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહાર ફૂટપાથ ઉપર કેટલાક ગરીબો કપડાનો પથારો લગાવી અને વ્યાપાર ધંધો કરે છે. ત્યારે આજે સવારે કપડાનો જથ્થો અને એક લારીમાં આગ લાગી હતી. જેથી આસપાસમાં રહેતા લોકો જાગી ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની બે ગાડી ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોનું કૃત્ય હોવાની આશંકા સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આ આગ લગાડવામાં આવી હોઈ શકે છે. એટલું જ નહીં આસપાસમાં રહેતા કોઈ વ્યક્તિઓ દ્વારા વહેલી સવારે આવી અને આગ લગાડી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ મુદ્દે પોલીસ તપાસ કરે તેવી પણ માગ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:57 am

પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર

પોરબંદર એરપોર્ટ નજીક ગત રોજ બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર યુવાનોના નિધન થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અખબારી અહેવાલો દ્વારા આ દુર્ઘટનાની જાણ થતાં પૂજ્ય મોરારીબાપુએ મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે માનવતાવાદી અભિગમ દાખવીને પ્રત્યેક મૃતક યુવાનના પરિવારને ₹15,000 ની સહાય જાહેર કરી છે. કુલ ₹60,000 ની ‘હનુમંત સંવેદના’ સહાયતા રાશિ પરિવારોને મોકલવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુના આદેશ મુજબ, પોરબંદર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આજે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ જઈને આ સહાય રાશિ અર્પણ કરવામાં આવી રહી છે. બાપુએ શોકગ્રસ્ત પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવા સંદેશ પાઠવ્યો છે. પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, 'આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનોના નિર્વાણ માટે હું ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. પરમાત્મા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી મંગલ કામના.' આમ, પૂજ્ય મોરારીબાપુએ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક જવાબદારી નિભાવીને પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:55 am

મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી બે શખ્સ ફરાર, CCTV:સોસાયટીમાં વોકિંગ કરતા હતાને ગઠીયાઓ બાઈક પર ત્રાટક્યા, TB હોસ્પિટલ રોડ પરની ઘટના

શહેરના ટી.બી. હોસ્પિટલ રોડ પર આવેલી ONGC સોસાયટીમાં રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાના મંગળસૂત્રની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વોકિંગ કરતા હતાને મંગળસૂત્ર ખેંચી લીધું ટી. બી.હોસ્પિટલ પાસે ઓ.એન.જી.સી. સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા સ્વીટીબેન પટેલ 6 એપ્રિલ 2026ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યે પોતાની સોસાયટીની ગલી પાસે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક પર બે અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા. કંઈ પણ બોલ્યા વગર પાછળ બેસેલા શખ્સે સ્વીટીબેનના ગળામાં પહેરેલ હીરાજડિત સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. બાઈક પર બંન્ને શખ્સ ભાગી છૂટ્યા મહિલાએ બૂમાબૂમ કરતા બંને ગઠીયાઓ બાઈક લઈને આશ્રય હોટલ તરફ ભાગી છૂટ્યા હતા. ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર બાઈક ચાલકે કાળા રંગનું માસ્ક અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેસેલા શખ્સના ખભા પર થેલો અને હાથમાં હેલ્મેટ હતું. બંનેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની જણાઈ હતી. ઘટના બાદ મહિલાએ તુરંત જ GIDCમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા તેમના પતિને જાણ કરી હતી. દંપતીએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ રાત્રિના સમયે સફળતા મળી ન હતી. અંતે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને ગઠીયાઓને પકડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:37 am

સંખેડા પોલીસે XUVમાંથી ₹7.19 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:લોટીયા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક ફરાર થયો

છોટા ઉદેપુર જિલ્લાના લોટીયા ચોકડી પાસેથી સંખેડા પોલીસે XUV ગાડીમાંથી રૂ. 7,19,797/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. હાલમાં ચૂંટણીને કારણે ઠેર ઠેર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન સંખેડા પોલીસ ગોલા ગામડી ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે બોડેલી તરફથી ગોળ ગામડી તરફ XUV ગાડી નંબર GJ 01 HZ 7135 માં વિદેશી દારૂ ભરીને આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા, તેના ચાલકે દૂરથી પોલીસને જોઈને ગાડી લોટીયા તરફ વાળીને ભગાવી હતી. સંખેડા પોલીસે તેનો પીછો કરતા, ચાલક આગળ જઈને ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1535 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,19,797/- થાય છે. પોલીસે વિદેશી દારૂ અને XUV ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:33 am

પંચમહાલમાં વરસાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2નાં મોત:શહેરાના છોગાળામાં પૌત્ર અને દાદી દટાયા, પરદાદા ઈજાગ્રસ્ત; મૃતદેહો રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ વેર્યો હતો. તાલુકાના છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી દાદી અને પૌત્રના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દીવાલે બેના જીવ લીધામળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં એક મકાનની દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલની બાજુમાં જ હાજર 42 વર્ષીય સુકલીબેન જસવંતભાઈ વણજારા અને 7 વર્ષનો પૌત્ર ધાર્મિક સુરેશભાઈ વણઝારા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બચાવ કામગીરી અને જાનહાનિઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડી બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, 7 વર્ષના ધાર્મિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુકલીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર મૃતક મહિલાના સસરા ખતું વણઝારાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ કાર્યવાહીબંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 2 સભ્યોના અકાળે અવસાનથી છોગાળા પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:21 am

બોટાદની કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં:બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા

બોટાદના પાળીયાદ રોડ પર પંજવાણી કાંટા પાસે ઉમા પાર્ક 4 માં આવેલી કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં શૈક્ષણિક સત્રના સમાપ્તિ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે UKG માંથી ધોરણ 1 માં જતા બાળકો માટે વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. વિદાય સમારોહ દરમિયાન બાળકોએ પોતાની સુંદર પ્રતિકૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ ખૂબ જ મનમોહક રહ્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના પ્રિન્સિપાલ રાખીબેન કમલકુમાર લીંબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને દરેક તહેવારોનું મહત્વ સમજાવીને તેની ઉજવણી પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:19 am

મુળચંદ ગામના ગ્રામજનોની ભાજપ પાસે માંગ:સ્થાનિક ચૂંટણીમાં ગામના 2 ઉમેદવારોને ટિકિટ આપો, નહીંતર વિરોધ

સુરેન્દ્રનગર: વઢવાણના મુળચંદ ગામના ગ્રામજનોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ગામના બે ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ એક બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટી સમક્ષ આ રજૂઆત કરી હતી. મુળચંદ ગામ 3500થી વધુ વસ્તી ધરાવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે બે ઉમેદવારોને ટિકિટ મળે તેવી તેમની અપેક્ષા છે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ ગામની મુલાકાત લીધી હોવા છતાં, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ ભાજપમાં જ રહેવા માંગે છે. તેથી, તેઓ ભાજપ પાસેથી જ સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખે છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે, જેમાં મુળચંદ ગામ સહિત આસપાસના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. દરેક વોર્ડમાં 30થી વધુ ઉમેદવારોએ ટિકિટ માંગી છે અને કુલ 500થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ 13 વોર્ડમાં કયા 52 ઉમેદવારોની પસંદગી કરશે તેના પર સૌની નજર છે. આ સંજોગોમાં, જો ભાજપ પક્ષ મુળચંદ ગામના ઉમેદવારોની પસંદગી નહીં કરે, તો ગામમાં વિરોધનો વંટોળ સર્જાઈ શકે છે અને નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 11:18 am

અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા:સવારે 4:15થી 8:57 વાગ્યા સુધીમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો; સિસ્મોલોજી વિભાગની સતર્ક રહેવા અપીલ

અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક ગામોની ધરા ધ્રુજીસવારના સમયગાળામાં વિવિધ તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા. સવારે 4:15 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, ત્યારબાદ 4:16 વાગ્યે 2.3, 4:24 વાગ્યે 1.0, 4:57 વાગ્યે 1.4, 7:00 વાગ્યે 2.2, 7:15 વાગ્યે 3.5 (લગભગ), 7:51 વાગ્યે 1.5 અને 8:57 વાગ્યે 1.5 તીવ્રતાના આંચકા નોંધાયા હતા.આ આંચકાઓની અસર મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા સહિતના ગામોમાં અનુભવાઈ હતી. કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂરભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, છતાં સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:54 am

બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:100થી વધુ CCTV ખંગાળીને પોલીસે ત્રણને દબોચ્યા, સાંતેજમાં સુપરસીટી લક્ઝરીયા-3 સાઈટ પરથી કરી હતી ચોરી

ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાત્રિના અંધકારમાં નિર્માણધીન સાઇટ પર ત્રાટકી આ ગેંગ 1,530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી પલાયન થઈ હતી. જેમની પાસેથી કુલ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પરથી કેબલની કરી હતી ચોરીસાંતેજ ગામની સીમમાં સુપરસીટી લકઝરીયા-3 નામની સાઇટ પર 31 માર્ચથી 1 એપ્રિલના સમયે કેબલ ચોરી થયાની ઘટના સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ અલગ અલગ સાઈઝના 1.81 લાખથી વધુની કિંમતના કેબલની ચોરી કરી છે.જે મામલે કંપનીએ સ્ટોક અને કેબલની લંબાઈની ખરાઈ કર્યા બાદ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં 100થી વધુ CCTV ફૂટેજની તપાસફરિયાદના આધારે સાંતેજ પોલીસ મથકના PI એસ. આર. મૂછાળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા 100થી વધુ CCTV કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે સાંતેજ ગામની સીમમાં ટીપી રોડ પર વોચ ગોઠવી ચોરીના કોપર વાયર સાથે જઈ રહેલી રિક્ષાને અટકાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી હત્યા, લૂંટના ગુનામાં પણ સંડોવણીજે આરોપીઓની પૂછપરછ દરમિયાન સુપરસીટી લક્ઝરીયા-3ની સાઇટ પરથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે PI મૂછાળે કહ્યું કે, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, ​કરણ પટણી અને ​રણજીત ઉર્ફે સાવલો પટણીને રુપિયા 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ​આ તમામ આરોપીઓ હાલ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી શૈલેષ ઉર્ફે શેરડી પટણી અગાઉ પણ હત્યા, લૂંટ અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:47 am

6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો:માથા-મોઢા પર ગંભીર ઇજા, તંત્ર સામે કાર્યવાહીની માંગ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. આજે ગામમાં એક 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્વાને બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને ઇજાઓ થઈ હતી. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને બાળકના પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં રખડતા શ્વાનોનો પ્રશ્ન લાંબા સમયથી વણઉકેલ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 10:10 am

ભાજપ સ્થાપના દિવસે 'ઘર-ઘર સંપર્ક અભિયાન':સુરેન્દ્રનગરના વોર્ડ 4 અને 7 માં પત્રિકા વિતરણ, લોકસંપર્ક

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપના આદેશ મુજબ રાજ્યભરમાં “ઘર-ઘર સંપર્ક અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વિવિધ વોર્ડમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ પરિવારો સાથે સીધો સંપર્ક કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની વિચારધારા અને સેવાકીય પ્રવૃત્તિઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 4 માં જીગ્નાબેન પંડ્યા, ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને મિલિન્દ કોઠારી દ્વારા સઘન સંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ ઘરે-ઘરે જઈને સરકારની સિદ્ધિઓ અને પક્ષના આગામી લક્ષ્યો વિશે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પણ આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો હતો. વોર્ડ નંબર 7 ના બુથ નંબર ૨૧૫ માં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં વોર્ડ પ્રભારી શિલ્પાબેન રાઠોડ, ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ મોરી, રવિરાજસિંહ જાડેજા, વિરલભાઈ શુકલ અને ડો. હેતલબેન જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ સદસ્ય પિન્ટુબેન અસાણીયા, પારુલબેન શુકલ, નિતાબેન જોષી અને સ્મિતાબેન વોરાએ પણ બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતો દ્વારા સેવા અને સંગઠનના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:54 am

ભરૂચમાં ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યૂ:મકતમપુર વિસ્તારમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો અજગર પકડ્યો, સલામત સ્થળે છોડશે

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારની એકદમ નજીક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક સર્પમિત્રોની સતર્કતાને કારણે અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગર દેખાતા વનવિભાગને જાણ કરાઈમકતમપુર વિસ્તારમાં અચાનક અજગર દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમના રમેશ દવે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા RFO એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ સફળઅજગરને જોવા માટે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ભીડ અને અજગરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. અજગર કદમાં મોટો હોવાથી તેને કાબૂમાં લેવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અજગરને સહીસલામત પકડી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કુદરતી આવાસમાં મુક્ત કરાશેરેસ્ક્યૂ કરવામાં આવેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અજગરના સ્વાસ્થ્યની તપાસ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની અપીલ કોઈપણ જંગલી જાનવર કે સાપ દેખાય ત્યારે તેની છેડતી કરવી નહીં. પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવું અને તાત્કાલિક વન વિભાગ અથવા નિષ્ણાત સર્પમિત્રોનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:47 am

અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે:12 વોર્ડમાં આખી પેનલ બદલાશે; કોણ કપાશે, રિપીટ થશે, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે. રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન, જાતિગત સમીકરણ, ભાજપના નિયમો અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલી નીતિ મુજબ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકામાં 140 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 70 ટકાથી વધારે કોર્પોરેટરોને ઘરભેગા કરાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. SIRના કારણે મતદારો ઓછા વધ્યા છે અને જાતિગત સમીકરણ પણ બદલાયું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ કારણોસર કયા કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે, કોને ટિકિટ મળી શકે અને ફરીથી રિપીટ થઈ શકે તેવા ઉમેદવારોનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું છે. વિવાદિત પૂર્વ કોર્પોરેટરો પર કાતર ફેરવાશેઅમદાવાદ મહાનગરપાલિકામાં અનેક નાના-મોટા વિવાદોમાં ભાજપના કોર્પોરેટરો આવી ચૂક્યા છે જેમાં સૌપ્રથમ ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચેતન પરમાર જેઓ સતત વિદેશમાં જ રહેતા હતા. ત્રણ મહિનાની સામાન્ય સભાની રજા લઇ અને ચોથી સામાન્ય સભામાં પોતાનું ડિસ્ક્વોલિફિકેશન ન થાય તેના માટે સહી કરવા માટે આવી જતા હતા. આ સમગ્ર મામલો ઉચ્ચ મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ વચ્ચેથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું નહોતું. રામોલ હાથીજણ વોર્ડના સિદ્ધાર્થ પરમાર જેમની વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર નીરવ કવિની ધર્મ-જાતિને લઈને વિવાદ થયો હતો જ્યારે નવા વાડજ વોર્ડમાં પણ લલીતા મકવાણાએ ખોટું એફિડેવીટ રજૂ કર્યું હોવાને લઈને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી. વિરાટનગર વોર્ડના સંગીતા કોરાટ, સુરેશ ખાચર બાંધકામ મામલે વિવાદમાં આવ્યા હતા અને તેમની ફરિયાદો પણ ઉપર સુધી કરવામાં આવી હતી. 12 વોર્ડમાં પેનલ બદલાશે, બાકીના વોર્ડમાં 2 ઉમેદવાર રિપીટઅમદાવાદ મહાનગરપાલિકામાં અનામત રોટેશન, જાતિગત સમીકરણ, કોંગ્રેસના પ્રભુત્વવાળી સીટ, વિવાદોથી ઘેરાયલો વોર્ડ હોય એવા તમામ વોર્ડમાં ચારેય ઉમેદવારની આખી નવી પેનલ ઉતારવામાં આવશે. જેમાં ઘાટલોડીયા, નવા વાડજ, કુબેરનગર, શાહપુર, ઠક્કરબાપાનગર, સૈજપુર બોઘા, દરિયાપુર, સરસપુર-રખીયાલ, જમાલપુર, ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા સહિતના કુલ 12 વોર્ડમાં ભાજપ આખી નવી પેનલ ઉતારશે. બાકીના તમામ વોર્ડમાં વધુમાં વધુ બે ઉમેદવારોને રિપીટ કરાશે. કમિટીમાં એક્ટિવ હોદ્દેદારોને રિપીટ કરાશેરાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અલગ અલગ હોદ્દેદારોને પણ ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકામાં ખૂબ જ નિષ્ક્રિય હોય એવી કમિટીઓને ફરીથી જાગૃત કરી છે અને કામગીરી કરી છે. જેમાં રેવન્યૂ કમિટીમાં ચેરમેન રહી ચૂકેલા જૈનિક વકીલ અને પ્રદીપ દવે, લીગલ કમિટીમાં પ્રકાશ ગુર્જર, રીક્રીએશન કમિટીમાં જયેશ ત્રિવેદી અને સ્નેહાબા પરમાર, હાઉસિંગ કમિટીમાં અશ્વિન પેથાણી અને મુકેશ પટેલ સહિતના હોદ્દેદારોની પણ સારી કામગીરીને લઈને તેમને ફરીથી રિપીટ કરવામાં આવી શકે છે. આ કોર્પોરેટર કપાઈ શકે આરતી ચાવડા ગોતાહીરા પરમાર ચાંદલોડિયા ભરત પટેલ ચાંદલોડિયારાકેશ બ્રહ્મભટ્ટ ચાંદખેડાઅરુણસિંહ રાજપુત(પૂર્વદંડક) ચાંદખેડાહિરલ ભાવસાર સાબરમતી અંજુ શાહ સાબરમતી રમેશ રાણા સાબરમતી દશરથ પટેલ રાણીપ ગીતા પટેલ રાણીપ લલીતા મકવાણા નવા વાડજભાવના વાઘેલા નવા વાડજયોગેશ પટેલ નવા વાડજવિજય પંચાલ નવા વાડજભાવના પટેલ ઘાટલોડીયા મીનાક્ષી નાયક ઘાટલોડીયા જતીન પટેલ ઘાટલોડીયા પ્રવીણ પટેલ ઘાટલોડીયા નીરુ ડાભી થલતેજસમીર પટેલ થલતેજહિતેશ બારોટ થલતેજગીતા પટેલ નારણપુરાજયેશ પટેલ નારણપુરાબ્રિન્દા સુરતી નારણપુરાદીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડિયમમિત્તલ મકવાણા સરદારનગરસુરેશ દાનાણી સરદારનગરકંચન પંજવાણી સરદારનગર અલકા મિસ્ત્રી નરોડારાજેન્દ્ર સોલંકી નરોડાવૈશાલી જોશી નરોડા રેશમા કુકરાણી સૈજપુર બોઘાવિનોદાકુમારી ચૌધરી સૈજપુર બોઘામહાદેવ દેસાઈ સૈજપુર બોઘાહસમુખ પટેલ સૈજપુર બોઘા ગીતાબા ચાવડા કુબેરનગર અનુ પટેલ અસારવામેના પટણી અસારવાઓમજી પ્રજાપતિ અસારવાપ્રતિભા જૈન શાહીબાગ જાસ્મિન ભાવસાર શાહીબાગજશુભાઈ ઠાકોર શાહીબાગઆરતી પંચાલ શાહપુરરેખાબેન ચૌહાણ શાહપુરપ્રતાપ આગજા શાહપુર નીરવ કવિ નવરંગપુરાહેમંત પરમાર નવરંગપુરાદીપ્તિ અમરકોટિયા બોડકદેવવાસંતી પટેલ બોડકદેવકાંતિ પટેલ બોડકદેવઅરવિંદ પરમાર જોધપુરપ્રવિણા પટેલ જોધપુરકંચન રાદડિયા ઠક્કરબાપાનગરહર્ષા ગુર્જર ઠક્કરબાપાનગરકિરીટ પરમાર ઠક્કરબાપાનગરદીક્ષિત પટેલ ઠક્કરબાપાનગરઉષા રોહિત નિકોલબળદેવ પટેલ નિકોલસંગીતા કોરાટ વિરાટનગરબકુલા એન્જીનીયર વિરાટનગરડૉ. રણજીત વાંક વિરાટનગરસરોજ સોલંકી બાપુનગરજયશ્રી દાસરી બાપુનગર દિનેશસિંહ કુશવાહ સરસપુર-રખિયાલભાસ્કર ભટ્ટ સરસપુર-રખિયાલભારતી વાણીયા સરસપુર-રખિયાલમંજુલા ઠાકોર સરસપુર-રખિયાલઉમંગ નાયક ખાડિયાગીતા પરમાર ખાડિયાનિકી મોદી ખાડિયા જૈનિક વકીલ અથવા પ્રિતિશ મહેતા પાલડીચેતના પટેલ પાલડીસોનલ ઠાકોર વાસણા દિલીપ બગરીયા વેજલપુરકલ્પના ચાવડા વેજલપુરઅલકા શાહ સરખેજસુરેશ ખાચર સરખેજકરણ ભટ્ટ મણીનગરશીતલ ડાગા મણીનગરચંદ્રકાંત ચૌહાણ મણીનગરજશી પરમાર અમરાઈવાડીઓમ પ્રકાશ બાગડી અમરાઈવાડી રાજેશ દવે ઓઢવમીનુ ઠાકુર ઓઢવઅનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલગીતાબેન પ્રજાપતિ વસ્ત્રાલચંદ્રિકા પટેલ વસ્ત્રાલઅલકા પંચાલ ઇન્દ્રપુરીચંદ્રકાંત પ્રજાપતિ ઇન્દ્રપુરીગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા હાટકેશ્વરમીરા રાજપૂત ભાઈપુરા હાટકેશ્વરવાસંતી પટેલ ભાઈપુરા હાટકેશ્વરચેતન પરમાર ખોખરાજીગીશા સોલંકી ખોખરાશિવાની જૈનીકર ખોખરામીના સોલંકી ઈસનપુરમોના રાવલ ઈસનપુરશંકર ચૌધરી ઈસનપુરડૉ.ચાંદની પટેલ લાંભા જશોદા અમલીયાર લાંભા જલ્પા પંડ્યા વટવાસરોજ સોની વટવાગિરીશ પટેલ વટવામૌલિક પટેલ હાથીજણસિદ્ધાર્થ પરમાર હાથીજણચંદ્રિકા પંચાલ હાથીજણ આ કોર્પોરેટર રિપીટ થઈ શકે કેતન પટેલ ગોતા અજય દેસાઈ ગોતા પારુલ પટેલ ગોતા રાજેશ્રી પટેલ ચાંદલોડિયારાજેશ્વરી પંચાલ ચાંદલોડિયારીટા પટેલ ચાંદખેડાચેતન પટેલ સાબરમતીભાવિ પંચાલ રાણીપવિરલ વ્યાસ રાણીપઋષિના પટેલ થલતેજદર્શન શાહ નારણપુરામુકેશ મિસ્ત્રી સરદાર પટેલ સ્ટેડિયમપ્રદીપ દવે સરદાર પટેલ સ્ટેડિયમદીપલ પટેલ અથવા રશ્મિ ભટ્ટ સરદાર પટેલ સ્ટેડિયમસન્ની ખાનચંદાણી સરદારનગરવિપુલ પટેલ નરોડાદિશાંત ઠાકોર અસારવાભરત પટેલ શાહીબાગવંદના શાહ નવરંગપુરાઆશા બ્રહ્મભટ્ટ નવરંગપુરાદેવાંગ દાણી બોડકદેવઆશિષ પટેલ જોધપુરભારતી ગોહિલ જોધપુરનીતુ પરમાર ઈન્ડિયા કોલોનીભાવિક પટેલ અથવા ભરત કાકડીયા ઈન્ડિયા કોલોનીવિલાસ દેસાઈ(પટેલ) નિકોલદીપક પંચાલ નિકોલમુકેશ પટેલ વિરાટનગરપ્રકાશ ગુર્જર બાપુનગરઅશ્વિન પેથાણી બાપુનગર પંકજ ભટ્ટ ખાડિયા પૂજા દવે પાલડીપ્રીતિશ મહેતા અથવા જૈનિક વકીલ પાલડીમેહુલ શાહ વાસણાસ્નેહાબા પરમાર વાસણારાજેશ ઠાકોર વેજલપુરપારુલ દવે વેજલપુરજયેશ ત્રિવેદી સરખેજજયા દેસાઈ સરખેજઇલાક્ષી શાહ મણિનગરપ્રતિભા દુબે અમરાઈવાડીનીતુ દેસાઈ ઓઢવદિલીપ પટેલ ઓઢવઅનિરુદ્ધસિંહ ઝાલા અથવા પરેશ પટેલ વસ્ત્રાલકૌશિક પટેલ ઈન્દ્રપુરીકમલેશ પટેલ ભાઈપુરા-હાટકેશ્વરકમલેશ પટેલ ખોખરા માનસિંહ સોલંકી લાંભાસુનિતા ચૌહાણ રામોલ-હાથીજણઈસનપુર મૌલિક પટેલ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:43 am

કાટમાળમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યૂ, VIDEO:ફાયર જવાને પહેલા માળેથી ખભે ઉચકીને નીચે ઉતાર્યાં, કોટના વરિયાવી બજારમાં વહેલી સવારે જર્જરિત મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી

સુરત શહેરના કોટ વિસ્તારમાં વરિયાવી બજારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ ચોકીની સામે એક વર્ષો જૂના મકાનની દીવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાના કારણે ફસાયેલા 80 વર્ષના વૃદ્ધા માટે ફાયરના જવાનો 'દેવદૂત' બનીને આવ્યા હતા અને તેમનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. વહેલી સવારે સ્લેબ પડતા અફરાતફરી મચીમળતી માહિતી પ્રમાણે, વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં ઘર નંબર 2191માં આજે વહેલી સવારે 3:50 કલાકે ભારે અવાજ સાથે કડાકો થયો હતો. એક માળના આ મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો જાગી ગયા હતા. ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવ-બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. વૃદ્ધા કાટમાળ વચ્ચે જિંદગીની જંગ લડતા હતામકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શકતા નહોતા. ઘટનાની જાણ થતા જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસરે વૃદ્ધાને ઊંચકીને નીચે ઉતાર્યાંરેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા. વૃદ્ધાને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા, આથી ઓફિસર બળવંતસિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર 80 વર્ષના વૃદ્ધાને પોતાના ખભે ઊંચકી લીધા હતા અને પહેલા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયાફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યાં બાદ એમ્બ્યુલન્સ મારફતે હરિબેનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાને કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાનિ ટળી હતી, જોકે જર્જરિત મકાનોના ભયને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:43 am

હિંમતનગર રેલવે સ્ટેશન માર્ગે પાણી ભરાયું:સાબરકાંઠાના 7 તાલુકામાં કમોસમી વરસાદ, હિંમતનગર-તલોદમાં એક ઇંચ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. 3 મિલીમીટરથી 26 મિલીમીટર સુધીના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંમતનગરમાં 24 કલાકમાં એક ઇંચ (24 મિલીમીટર) કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ગાયત્રી મંદિર પાસેની વિવિધ સોસાયટીઓ અને ટાવર ચોકથી પાંચ બત્તી થઈને રેલવે સ્ટેશન જવાના માર્ગે પાણી ભરાયા હતા. પાણીના નિકાલના અભાવે લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. જિલ્લામાં 7 એપ્રિલ, મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, તલોદમાં 26 મિલીમીટર (એક ઇંચ), હિંમતનગરમાં 24 મિલીમીટર (એક ઇંચ), પ્રાંતિજમાં 13 મિલીમીટર, ઇડરમાં 10 મિલીમીટર અને વડાલીમાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:40 am

આગ્રા કૅન્ટ-અસારવા એક્સપ્રેસનું નિયમિત સંચાલન શરૂ:સાબરકાંઠાના મુસાફરોને વધુ સુવિધા મળશે, ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે

NWR દ્વારા સંચાલિત આગ્રા કૅન્ટ–અસારવા એક્સપ્રેસ (ટ્રેન નં. 20178/20177)નું આજથી નિયમિત સંચાલન શરૂ થયું છે. આ નિર્ણય સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમને વધુ સુવિધા પૂરી પાડશે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી અસારવા માટે દર બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 20177 અસારવાથી આગ્રા કૅન્ટ માટે દર ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે. તે ગંગાપુર સિટી, સવાઈ માધોપુર, કોટા, બુંદી, ચંદેરિયા, માવલી, ઉદયપુર સિટી, ડુંગરપુર, શામળાજી રોડ અને હિંમતનગર જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અસારવા પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 20177 અસારવાથી બપોરે 15:00 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 07:15 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશને, આગ્રા કૅન્ટ-અસારવા ટ્રેન સવારે 9:35 વાગ્યે આવશે અને બે મિનિટના રોકાણ બાદ 9:37 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, અસારવા-આગ્રા કૅન્ટ ટ્રેન સાંજે 4:18 વાગ્યે આવશે અને બે મિનિટ રોકાઈને 4:20 વાગ્યે ઉપડશે. આ નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ થવાથી હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આગ્રા અને રાજસ્થાન તરફની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:35 am

પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞ યોજાયો:વાવાઝોડા વચ્ચે પણ ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો

પાટણ ખાતે શ્રી રામકૃષ્ણ ગૌશાળા, રામનગર પદ્મનાથ મંદિર સામે મંગળવારે 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શ્રી સીતારામ મંડળ, જલારામ ગૌ સત્સંગ મંડળ અને શ્રી આનંદ ગરબા મંડળના ભક્તો દ્વારા યોજાયો હતો. આહુતિ પિયુષભાઈ મહારાજ દ્વારા અપાવવામાં આવી હતી. ભોજન પ્રસાદ હસમુખલાલ ઈશ્વરલાલ ઠક્કર, નાયકા વાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટણના મોટી સંખ્યામાં ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:21 am

પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી:લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા મુદ્દે બોલાચાલી બાદ ધમાલ મચાવી હતી, 14માંથી 11 આરોપી ઝડપાયા

વડોદરમાં શહેરના એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા જેવી સમાન્ય બાબતે મામલો બિચક્યો હતો અને બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ કેસમાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધમાલ મચાવનાર આરોપીઓએ કાન પકડીને ઉઠકબેઠક પણ કરી હતી. પાણી ઢોળવા મુદ્દે બે જૂથ આવ્યા સામસામે 06 એપ્રિલની રાત્રે એકતાનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હાથાપાઈ, મારામારી અને એકબીજા પર પથ્થરમારો સુધી પહોંચી હતી. આ ઘટનામાં બંન્ને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. બંન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી ઘટનાની ગંભીરતા જોતા બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડયો હતો. પોલીસે આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. જેમાં 14 સામે નામજોગ ફરિયાદ નોધવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ. પસ્તાગીયા અને તેમની ટીમે સીસીટીવી ફુટેજ, સ્થાનિક સાક્ષીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 14 આરોપીમાંથી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓની શાન ઠેકાણે લાવી આ કાર્યવાહીમાં આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક પણ પોલીસે કરાવી હતી. ફિરોઝ ઉર્ફે હુક્કા શફીભાઈ મન્સૂરી, ઇમરાન ઉર્ફે ઇલ્લુ મુસ્તાક મન્સૂરી , સાહિલ ફિરોઝ ઉર્ફે હુક્કા મન્સૂરી , સમીર ઉર્ફે કાકા અશરફભાઈ પઠાણ , જુબેર જાકીરભાઈ મન્સૂરી અને સામે પક્ષે સલીમુદ્દીન કુતુબુદ્દીન શેખ, તમીજુદ્દીન કુતુબુદ્દીન શેખ , બશીરભાઈ રસૂલભાઈ મલેક અને ફારુક ઉર્ફે બબલુ ફરીદખાન પઠાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 9:12 am

'બે દિવસ ફેરવવા માટે આપો' કહી ગઠિયાએ બોલેરો વેચી મારી:ચાણસ્માના દસ્તાવેજ લખનાર સાથે વિજાપુર અને ઇડરના બે શખસે ₹7 લાખની છેતરપિંડી આચરી, સાણંદમાં ગાડી વેચાઈ

ચાણસ્માના ઉગમણા દરવાજા વિસ્તારમાં રહેતા અને દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતા યુવક સાથે બોલેરો ગાડી ખરીદવાના બહાને 7.05 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વિશ્વાસ કેળવી માત્ર 1 લાખ રૂપિયા આપી, બાકીના નાણાં ચૂકવ્યા વગર ગાડી અન્યત્ર વેચી મારી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે વિજાપુરના વસાઈ ડાભલા અને ઇડરના કમાલપુરના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો શું છે ?કુલદીપ ડોડીયાએ વર્ષ 2023માં 12.65 લાખની કિંમતે મહિન્દ્રા બોલેરો નિયો ટેન ખરીદી હતી. આ ગાડી પર ચાણસ્મા કો-ઓપરેટિવ બેંકની લોન ચાલુ હતી. કુલદીપે ગાડી વેચવા માટે તેમના મિત્ર ચિરાગસિંહ (રહે. જીતોડા) સાથે વાત કરી હતી. દરમિયાન, 23 જાન્યુઆરી 2026ના રોજ અનીલગીરી ગોસ્વામી (રહે. વસાઈ ડાભલા, તા. વિજાપુર) અને ભૌતિકગીરી ગોસ્વામી (રહે. કમાલપુર, તા. ઇડર) કુલદીપકુમારના ઘરે આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે ગાડીનો સોદો 7.05 લાખમાં નક્કી થયો હતો. વિશ્વાસ કેળવી ગાડી પડાવી લીધીઆરોપીઓએ ગાડીની બાકીની લોન ભરપાઈ કરી દેવાની ખાતરી આપી હતી અને 'બે દિવસ ફેરવવા માટે આપો' તેમ કહી કુલદીપનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને આર.સી. બુક સાથે ગાડી લઈ ગયા હતા. જોકે, બે દિવસ બાદ લોન ભરવા કે બાકીના નાણાં આપવા બાબતે આરોપીઓએ વાયદા શરૂ કર્યા હતા. ગાડી ત્રીજી વ્યક્તિને વેચી મારીકુલદીપે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલી તન્વી મોટર્સમાં રાહુલદાન ગઢવીને 5.80 લાખમાં વેચી દીધી હતી અને તેમની પાસેથી 4 લાખ રૂપિયા મેળવી લીધા હતા. રાહુલદાન ગઢવીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા, અંતે કુલદીપે પોલીસનો આશરો લીધો હતો.ચાણસ્મા પોલીસે આ મામલે અનીલગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:48 am

વલસાડ નગરપાલિકાના ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટ્યો:ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક મોપેડ પર કાટમાળ પડ્યો, મોટી જાનહાનિ ટળી; પાલિકા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવશે

વલસાડ શહેરમાં નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો એક સ્લેબ મંગળવારે મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલું એક મોપેડ કાટમાળ નીચે દબાઈ જતાં તેને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, રાત્રિનો સમય હોવાથી કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. 30થી 40 વર્ષ જૂનું બિલ્ડિંગ અત્યંત જોખમીઆ શોપિંગ સેન્ટર અંદાજે 30 થી 40 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. પ્રાથમિક તપાસ મુજબ, છતમાંથી પાણી ઉતરવાને કારણે લોખંડના સળિયામાં કાટ લાગી ગયો હતો, જેના કારણે ગેલેરીનો સ્લેબ નમી પડ્યા બાદ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારીએ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી હતી. તમામ સેન્ટરોનું સ્ટ્રક્ચરલ ઓડિટ થશે આ દુર્ઘટના બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ નિર્ણય લીધો છે કે તેના હસ્તકના તમામ શોપિંગ સેન્ટરોનો 'સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ' તૈયાર કરવામાં આવશે. સમારકામ: જે બિલ્ડિંગો રિપેર કરી શકાય તેવી સ્થિતિમાં હશે, તેનું ત્વરિત સમારકામ કરવામાં આવશે. ડિમોલિશન: જે ઇમારતો અત્યંત જોખમી અને રહેવા કે વેપાર કરવા લાયક નથી, તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે. ભાડુઆતોને સહકાર આપવા અનુરોધનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારો અને ભાડુઆતોને અપીલ કરવામાં આવી છે કે, જો બિલ્ડિંગ જોખમી જણાય તો તેને ખાલી કરવામાં અથવા રિપેરિંગની કામગીરીમાં પાલિકાને પૂરતો સહયોગ આપે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને કારણે કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે આ પ્રકારની કડક કામગીરી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:37 am

હડદડ ખેડૂત-પોલીસ ઘર્ષણ મામલે આપ નેતાની ધરપકડ:કિશાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુ બોરીયાને LCBએ પકડ્યા, 6 મહિનાથી ફરાર હતા

બોટાદ એલસીબી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુભાઈ ગભરૂભાઈ બોરીચાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બોટાદ જિલ્લામાં થઈ છે. ભગુભાઈ બોરીચાનું નામ ૧૨ ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામે પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેસમાં આરોપી તરીકે સામે આવ્યું હતું. ભગુભાઈ બોરીચા ગઢડા તાલુકાની મોટા સખપર તાલુકા પંચાયત બેઠક માટે AAPના ઉમેદવાર પણ છે. આ કારણોસર તેમની ધરપકડને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ બોટાદ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:10 am

નવસારી મનપાનો વોર્ડ 12નો ગઢ સાચવવો ભાજપ માટે પડકાર:એપ્રિલની કાળઝાળ ગરમીમાં ચૂંટણીનો પારો આસમાને, ‘VIP’ વોર્ડનો વિકાસ, સુવિધા અને દુવિધા ઉમેદવારનું ભાવી નક્કી કરશે

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. એપ્રિલ મહિનાના કાળઝાળ તાપની સાથે જ ચૂંટણીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. નવસારીના વોર્ડ નંબર 12માં ભાજપના વર્ષો જૂના ગઢને સાચવવો એ પક્ષ માટે મોટો પડકાર બની રહ્યો છે. આ એક હાઈપ્રોફાઈલ વોર્ડ ગણાય છે, જ્યાં શિક્ષિત મતદારોના મિજાજ પર સૌની નજર ટકેલી છે. ત્યારે ‘વીઆઈપી’ વોર્ડ ગણાતાં વોર્ડ 12ના વિકાસ, સમસ્યા અને સુવિધા સહિતની સ્થિતિનો મિજાજ જાણવા દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. રાજકીય ગઢ અને નેતૃત્વનું કેન્દ્રવોર્ડ નંબર 12 ઐતિહાસિક રીતે નવસારીના રાજકારણનું એપીસેન્ટર રહ્યું છે. ભૂતકાળમાં નગરપાલિકાના શાસન દરમિયાન આ એક જ વોર્ડમાંથી 3 પ્રમુખો મળ્યા છે. નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ આ જ વોર્ડના મતદાર હોવાથી તેનું મહત્વ વધી જાય છે. મતદારોનું ગણિત અને જ્ઞાતિ સમીકરણવોર્ડમાં અપર મિડલ ક્લાસ અને સુશિક્ષિત મતદારોનું વર્ચસ્વ છે. છાપરા અને દાંતેજ ગામના જોડાણ બાદ વોર્ડનું ભૌગોલિક કદ અને મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અહીં સિંધી, ભરવાડ, કોળી, પાટીદાર અને આદિવાસી મતદારો છે. વિકાસ અને વેપારી વર્ગશહેરના મધ્યમાં સ્થિત આ વિસ્તારમાં હાલ છાપરા અને ઈટાળવા રોડને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. આ વોર્ડમાં મોટા પાયે સિંધી વેપારીઓ વસે છે, જેઓ APMC, બાંધકામ અને શાકભાજીના જથ્થાબંધ વેપાર સાથે જોડાયેલા છે. 'આંધળો વિકાસ' અને સંકલનનો અભાવસ્થાનિક મતદાર વિનોદ રાઠોડના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા બન્યાને દોઢ વર્ષ થયું હોવા છતાં આયોજનબદ્ધ કામગીરીનો અભાવ છે. એકવાર રસ્તો બનાવ્યા બાદ ફરી પાણી કે ગટરની લાઈન માટે તેને ખોદવામાં આવે છે. વીજળીના થાંભલા ખસેડ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે. વિભાગો વચ્ચે 'કો-ઓર્ડિનેશન' ન હોવાથી જનતા હેરાન થઈ રહી છે. વરસાદી પાણીના નિકાલની જૂની સમસ્યાનૂતન સોસાયટી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. સ્થાનિક રહીશ હેમલતાબેન ચુનાવાલા જણાવે છે કે ચોમાસામાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવી જાય છે. તંત્ર દ્વારા માત્ર રસ્તાની ઊંચાઈ વધારવામાં આવે છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ડિજિટલ સિસ્ટમ સામે સવાલોસ્થાનિક યુવાન ગૌરવ રાઠોડે નવસારી મહાનગરપાલિકા (NMC)ની એપ્લિકેશન પર આકરા પ્રહાર કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગટરના ખુલ્લા ઢાંકણા જેવી ફરિયાદો કરવા છતાં સ્થળ પર કામ કર્યા વગર જ એપ્લિકેશનમાં ફરિયાદ 'સોલ્વ' બતાવી દેવામાં આવે છે. રસ્તા પર પાઈપોના ઢગલા કરી દેવાતા અકસ્માતનો ભય પણ રહે છે. રાજકીય પક્ષોનો પક્ષભાજપ તરફથી ટિકિટના દાવેદાર પ્રેમચંદ લાલવાણી વિકાસના કામોનો બચાવ કરતા જણાવે છે કે, છાપરા રોડથી ઈટાળવા સુધીના ફોર-લેન રસ્તા, ગામડાઓમાં આંતરિક રસ્તા અને તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મતદારો વાયદા નહીં પણ પરિણામ ઈચ્છે છેવોર્ડ નંબર 12 ના મતદારો હવે માત્ર વાયદા નહીં પણ પરિણામ ઈચ્છે છે. શિક્ષિત વર્ગ હોવાથી અહીં ટ્રાફિક વ્યવસ્થા, ડ્રેનેજ અને આયોજનબદ્ધ વિકાસ મુખ્ય મુદ્દા રહેશે. ભાજપ માટે પોતાના આ કિલ્લામાં ગાબડું પડતું રોકવું એ આગામી ચૂંટણીમાં સૌથી મોટી કસોટી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 8:00 am

સાંસદ અને રાજ્યમંત્રીના વોર્ડની શું છે સ્થિતિ?:પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ, તો ક્યાંક ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ; નેતાઓના વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 5 ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વોર્ડમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી જેવા દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાન આવેલા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે અહિંના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અહિના મતદારો પાયાની સુવિધાઓથી ક્યાંક સંતોષ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક મતદારોમાં ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી રોષ પણ જોવા મળ્યો હતો. નેતાઓના આ વિસ્તારમાં જનતાનો મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. ‘પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ સુવિધાઓ છે’વોર્ડ નંબર-5ની અવનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં સમસ્યાઓ બિલકુલ નહિવત છે. પાણી, લાઈટ અને મહિલા સુરક્ષા જેવી તમામ પાયાની સુવિધાઓ સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે સરકારની યોજનાઓ ખૂબ જ લાભદાયી છે, જેના કારણે દીકરીઓ અને મહિલાઓ ઉદ્યોગ અને નોકરીના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ‘નવી પાઈપલાઈન નંખાતા પૂરતું પાણી મળી રહે છે’વધુમાં જણાવ્યું કે, અગાઉ પાણીની સમસ્યા રહેતી હતી અને બે-ત્રણ દિવસે પાણી આવતું હતું, પરંતુ હવે નવી પાઈપલાઈન નંખાતા રોજ સમયસર અને પૂરતું પાણી મળી રહે છે. આ ઉપરાંત યોગ કેન્દ્રો, સ્વાસ્થ્ય અને આંગણવાડીની સુવિધાઓ પણ અમારા વોર્ડમાં ખૂબ જ પ્રશંસનીય છે. વોર્ડ 5માં ટ્રાફિક બાબતે કંચનસિંહે જણાવ્યું હતું કે, કંચનસિંહે જણાવ્યું હતું કે, પહેલા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ રહેતી હતી, જેના કારણે બસ કે ટ્રેન પકડવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે શહેરમાં અનેક નવા ઓવરબ્રિજ બની ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટો સુધારો આવ્યો છે. હવે ગમે તે સમયે નીકળીએ તો પણ ટ્રાફિકને કારણે મોડું થતું નથી, જે જામનગરના લોકો માટે મોટી રાહત છે. ‘રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે’તો બીજી તરફ વોર્ડ નંબર 5ના રહેવાસી રામદેવ ભાઈ ઓડેદરાએ ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, વોર્ડ નંબર 5માં ટ્રાફિક ઉપરાંત રોડ-રસ્તાની હાલત પણ અત્યંત ખરાબ છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ વારંવાર સર્જાય છે. તમે અહીં જોઈ શકો છો કે રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેનો છેલ્લા 5 વર્ષથી કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ‘લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે’વધુમાં જણાવ્યું કે, ​જામનગરમાં મચ્છરોનો સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે નીલકમલ ચોકડી પાસે છે, જ્યાં બાંધકામ દરમિયાન થયેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે. આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં, માર્કેટ નવી જગ્યાએ શિફ્ટ થઈ હોવા છતાં અહીં લારી-ગલ્લાઓનો ખડકલો જોવા મળે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. ખરાબ રસ્તા, ખાડાઓ અને પાણી ભરાવાની આ સમસ્યાઓથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ‘મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો’મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5માં રહેતા મનીષાબેન મહેતાએ સ્વચ્છતા અને મહિલા ઉત્કર્ષની યોજનાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ​મનીષાબેને જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કચરાના ઢગલાઓ અને ડસ્ટબિનની સમસ્યાઓ રહેતી હતી, પરંતુ હવે સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. હવે નિયમિતપણે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની ગાડી આવે છે. સંગીતના માધ્યમથી ગાડીના આગમનની જાણ થતા જ લોકો પોતપોતાના ઘર કે પાર્કિંગમાંથી કચરો આપી શકે છે, જેનાથી વિસ્તારમાં ખૂબ જ સરસ ચોખ્ખાઈ જળવાઈ રહી છે. પ્રીતિબેન દ્વારા જણાવ્યું હતું કે, આરોગ્ય માટે અહીંયા ઓક્સિજન પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જવાની છે. મોટી ઉંમરના લોકોને બહુ જ સરસ પાર્ક મળશે, જેમાં એ લોકો બહુ જ સારી રીતે વોક કરી શકશે. બધું જ એમને સારું ઓક્સિજન મળે તો એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા પાસે અમારી માંગણી તો બહુ જ ઓછી છે કારણ કે બધી માંગણી પૂરી કરી દીધી છે, છતાં પણ કંઈક રહેશે તો એ અમને એટલો કોન્ફિડન્સ છે કે મનપા અમારી માંગણી પૂરી કરશે જ. ‘અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં’વોર્ડ નંબર 5ના યુવાન ઉત્સવ પંડ્યાએ જણાવ્યું કે, વોર્ડ નં. 5માં બિસ્માર રસ્તાઓ અને ખાડાઓથી લોકો પરેશાન છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ જોવા મળે છે. ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી છે. અમારી અપેક્ષા માત્ર એટલી જ છે કે જે પણ ઉમેદવાર જીતે, તે જામનગરની જનતાને પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા, લાઈટ અને ડ્રેનેજ સિસ્ટમ પૂરી પાડે. સ્થાનિક યુવાને જણાવ્યું કે, વોર્ડમાં કામ ઘણા સારા જ થયા છે અમે ઈચ્છીએ છીએ કે લોકોની વચ્ચે રહે એવા ઉમેદવાર ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર મળે જેથી લોકોના પ્રશ્નો વધારે હલ થાય. મેન રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વોર્ડ નંબર 5માં આંકડાકીય વિગત મુજબ, કુલ 22,646 મતદારો છે, જેમાં 11,800 પુરુષ મતદારો અને 10,846 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણીમાં કેટલાક મુખ્ય પ્રશ્નો નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમાં આંતરિક રસ્તાઓનું નવીનીકરણ અને ખાડા મુક્ત રસ્તાની માંગ, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરતી ડ્રેનેજ સિસ્ટમ, તેમજ આરોગ્ય અને મચ્છર નિયંત્રણ દ્વારા સ્વચ્છતાની જાળવણીનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:05 am

પાલિકા-પંચાયત માટે આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે:ભાજપ મધ્ય અને ઉત્તર ગુજરાત ઝોનના ઉમેદવારો પર મંથન કરશે, 11 તારીખે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ

પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી તેજ કરી છે. 11 એપ્રિલ નામાંકનની અંતિમ તારીખ હોય આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે સાંજે સુધીમાં છ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે, ભાજપ દ્વારા હજી કોઈ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડમાં હાલ ઝોન વાઈઝ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે અને અંતિમ યાદી ફાઈનલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે આજે કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી શકે છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં દક્ષિણ-સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારો ફાઈનલભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી અને ફાઈનલ યાદી તૈયાર કરાઈ હતી. જે આગામી એક બે દિવસમાં જાહેર કરાઈ શકે છે. આજે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અને અંતિમ યાદી તૈયાર કરાશે. કોંગ્રેસ તેની બીજી યાદી આજે જાહેર કરી શકેકોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફક્ત 243 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મેનિફેસ્ટોના કાર્યક્રમના કારણે યાદી પર બ્રેક વાગી હતી. પરંતુ, હવે મેનિફેસ્ટોની કામગીરી પૂર્ણ થઈ હોય કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક':ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કઠોર અને વેલંજા વિસ્તારના જનપ્રતિનિધિઓ માટે જનતાએ અપેક્ષાઓનું ભાથું તૈયાર રાખ્યું છે. સ્થાનિક રહીશોનું માનવું છે કે માત્ર વાતો નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે તેવા નેતાઓની આજે જરૂર છે. આ વોર્ડમાં માળખાગત સુવિધાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર થતા ખોદકામે નાગરિકોની હાલાકીમાં વધારો કર્યો છે. તો બીજી તરફ, સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક છે. આમ, સામાન્ય જનતા પાયાની સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એમ બંને મોરચે સંઘર્ષ કરી રહી છે. સ્થાનિકોએ વરાછામાં અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી કરીલોકોની મુખ્ય માગણી સુરક્ષાને લઈને છે. હાલનું પોલીસ સ્ટેશન એવી જગ્યાએ કાર્યરત છે કે સામાન્ય નાગરિકને તે શોધવામાં પણ મુશ્કેલી પડે છે. મતદારોની માગ છે કે આગામી શાસકો પોલીસ સ્ટેશન માટે કોઈ મોકળાશવાળી અને મુખ્ય માર્ગ પરની જગ્યા ફાળવે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની શકે. વધતી જતી વસ્તી અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાને રાખીને મોટા વરાછા વિસ્તારમાં એક અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી ઉઠી છે. બહારગામ જવા માટે લોકોને દૂર સુધી લાંબા થવું પડે છે, જો સ્થાનિક સ્તરે ડેપોની વ્યવસ્થા થાય તો હજારો મુસાફરોને રાહત મળી શકે તેમ છે. ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા મોટા વરાછા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં તેનું કામ હજુ સુધી કાગળ પર જ છે. વિકાસના આ કામમાં થઈ રહેલો વિલંબ લોકોમાં આક્રોશ જન્માવી રહ્યો છે. નવા બનેલા રોડ પર વારંવાર થતા ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આયોજન વગરના કામોને બદલે કાયમી અને મજબૂત રસ્તાઓ બને તેવી અપેક્ષા રખાઈ રહી છે. વિસ્તારમાં સરકારી શાળાઓ અને આંગણવાડીઓની સંખ્યા વધારવા તેમજ હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની માંગણી પણ જોર પકડી રહી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોના વિકાસ અને આસપાસના રસ્તાઓના નવીનીકરણ માટે પણ લોકો નેતાઓ સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે. પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સ્થાનિકોમાં રોષદર વર્ષે ચોમાસામાં મોટા વરાછા અને ઉત્રાણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા અને પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે દર વર્ષે સવાલો ઉઠે છે. જનતા આ વખતે એવા પ્રતિનિધિને પસંદ કરવા માંગે છે જે આ વોટર લોગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે. મોટા વરાછાની જનતા જાગૃત છે. આ વખતે ચૂંટણીમાં પક્ષ કરતાં 'કામ' અને 'સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ' ને વધુ મહત્વ આપવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય એ બંધ થવી જોઈએ'વિજય માંગુકિયા (સામાજિક અગ્રણી)એ જણાવ્યું હતું કે, સામાજિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો સામાજિક દૂષણ તરીકે અત્યારે ઓયો હોટલ, જે મોટા વરાછા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં મહિલાઓ જે કામ પર જતી હોય છે, આઇટી સેક્ટરમાં ખૂબ અહીંયા વિકાસ થતો હોય છે ને આઇટી સેક્ટરના ઘણા બધા બિલ્ડીંગો બન્યા છે, કોમર્શિયલ બિલ્ડીંગો આવી રહ્યા છે. તો આ બધામાં નીચેના ભાગમાં હાઈ-ફાઈ ગલ્લાઓ હોય છે જ્યાં બીડી-સિગારેટ આદિ વ્યસનો કરવા માટે યુવાનો-યુવતીઓને સરળતાથી મળી રહે અને ત્રણ-ચાર માળમાં જે ઓફિસો આવેલી છે એમાં ઉપરના જે ટોપ ફ્લોર જેટલા પણ કોમર્શિયલ બિલ્ડિંગો છે એમાં મોટા ભાગના બિલ્ડિંગોની અંદર ટોપ ફ્લોરની અંદર ઓયો હોટલ આવી છે. માંગુકિયાએ વધુમા કહ્યું કે, મોટા ભાગે જે શાકભાજી લેવાનો જે સમયગાળો હોય છે, જે મહિલાઓને બહાર નીકળવાનો સમયગાળો હોય છે એવા સમયે આ હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય છે અને આ હોટલો સદંતર પણે બંધ થવી જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર આ ‘પ્રતિક્ષા’ નામનું જે એપ છે એમાં એક પણ હોટેલના માલિકો, એક પણ હોટેલના જે સંચાલકો છે એ પોલીસ સ્ટેશનની અંદર એ એપનો ઉપયોગ કરતા નથી અને રજિસ્ટ્રેશન પણ કરતા નથી. 'એક પણ ST ડેપો આવેલો નથી'સ્થાનિક રોનક ઘેલાણીએ જણાવ્યું હતું કે, સુરત મનપામાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વરાછાના ગરનાળાથી લઈ છેક કામરેજ સુધી, આ બાજુ ઉમરા-વેલંજા સુધી અને આ બાજુ યોગીચોક સુધીમાં એક પણ ST ડેપો આવેલો નથી. તો તેમની માટે એક જગ્યા ફાળવવામાં આવે જ્યાં ટ્રાફિકનો બનાવ ન બને, તેવી જગ્યા સારી એવી સિલેક્ટ કરી અને ફાળવવામાં આવે જેથી કરીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે વાર-તહેવાર અને પ્રસંગોપાત જતી પબ્લિક માટે એક સારી એવી સુવિધા પ્રાપ્ત થાય. 'પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર'ઘેલાણીએ વધુમાં કહ્યું કે, તેવી જ રીતે વોર્ડ નં. 2, 3 અને 4 હોય, આ તમામ જગ્યાએ લગભગ પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર બનેલી જગ્યાઓ છે, તેને ફિક્સ જગ્યા ફાળવી અને તેમને વિસ્તારની મધ્યમાં બનાવવામાં આવે જેથી કરીને પોલીસ સ્ટેશનનું કોઈપણને જ્યારે કામ પડતું હોય ત્યારે લોકોને શોધવું ન પડે અને પોલીસ પણ તત્કાલ ગણતરીની મિનિટોમાં ગુનેગારોને પકડવામાં મદદરૂપ બની શકતી હોય છે. '200 જેટલી બસો ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા'રોનક ઘેલાણીએ કહ્યું કે, સમસ્યામાં તો તમને ખ્યાલ છે કે ટ્રાફિકની સમસ્યા મોટા વરાછા વિસ્તારમાંથી સાંજે લગભગ 200 જેટલી બસો સુરતથી સૌરાષ્ટ્ર તરફ રવાના થતી હોય છે. ત્યારે વ્યવસ્થિત રોડ રસ્તા તો બની ગયા છે પરંતુ જો 'નો એન્ટ્રી' ઝોનને બાદ કરી એક મોટી જગ્યામાં ST ડેપો બની જાય તો ખરેખર આ ટ્રાફિકનું ન્યૂસન્સ પણ ઓછું થઈ શકે તેમ છે. તેવી જ રીતે એક સાયબર ફ્રોડનો મુદ્દો પણ આ વિસ્તારમાં બહુ મોટા પાયે આવે છે કે ગુજરાત બહારની પોલીસ અવાર-નવાર વરાછાના ઘણા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ગુનેગારોની અટકાયત કરવા માટે આવતી હોય છે. તો આગામી કોર્પોરેટરો જે કોઈ બને તે સ્થાનિક પોલીસને સાથે લઈ અને આ જે સાયબર માફિયાઓ છે તેની ઉપર ડામ મૂકવામાં આવે અને નવા ગુનેગારો ન પેદા થાય તેની તકેદારી રાખવામાં આવે. 'મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે'તેને વધુમાં કહ્યું કે, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો રિવરફ્રન્ટ ઉપર ઘણા પતંગોત્સવ, રમોત્સવ અથવા બહારનું ડેલિગેશન જ્યારે આવતું હોય ત્યારે મોટા મોટા કાર્યક્રમો થતા હોય, તેવી જ રીતે વરાછાના ગઢપુરથી લઈ કામરેજ સુધીમાં જો રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, તો આપણે પણ રમોત્સવ, પતંગોત્સવ તેવા ઘણા મોટા મોટા કાર્યક્રમો ઉજવી અને આ વરાછાની જનતાને ખુશ રાખી શકીએ તેમ છીએ. તો મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, લોકોને એક આસ્થાનું પ્રતીક અને એક ટુરિઝમ ડેવલપ કરવામાં આવે. 'અમે જીતાડીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે'જયેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમસ્યાઓ તો હાલ ઘણી છે, જે અમે ચાલુ કોર્પોરેશનને અમે જીતાડીએ છીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે તો અમારા વિસ્તારના વિકાસો થતા નથી. પક્ષ પલટો કરે એનોય અમને વાંધો નથી, પક્ષ પલટો કર્યા પછી પણ વિકાસના કામો નથી થતા અને ખાલી વાહ-વાહી કરે છે બધા. 'કોઈ સાફ-સફાઈ થતી નથી 'સ્થાનિક નિલેશ પોલરાએ જણાવ્યું હતું કે, મોટા વરાછા, ઓક્સિજન હાઉસની પાછળ રહું છું, શિવનગર સોસાયટીમાં. તો તે શિવનગર સોસાયટીની બાજુમાં, આગળ ઓક્સિજન હાઉસની પાછળ શાંતિકુંજ આવેલો છે. એ નિરાધાર પડેલો છે. એમાં કોઈ સાફ-સફાઈ થતી નથી અને એસ.એમ.સી. (SMC) વાળા એમ જ પગાર લઈ રહ્યા છે. અને 15 દિવસ પહેલા નાળિયેરી પડેલી છે, તો એસ.એમ.સી. વાળા બે કટકા કરી ગયા છે પણ ભરી નથી ગયા. અને ત્રણ-ચાર ફેર અમારા પ્રમુખે અરજી આપેલી છે, તોય પછી એનો કોઈ નિકાલ થયો નથી. 'એમનેમ પગાર લઈ રહ્યા છે'તેને વધુમાં કહ્યું કે, હાલની સ્થિતિ જોઈએ તો નાળિયેરી જે સાઈડમાં છે, ત્યાં હમણાં બહારના લોકો મહેમાન આવે, તો ત્યાં ગાડી પાર્ક કરતા. તો હવે ત્યાં ગાડી પણ પાર્ક કરવી મુશ્કેલી છે, એટલા માટે નાળિયેરી નડી રહી છે. શાંતિકુંજની સ્થિતિ અત્યારે સાવ નિરાધાર (ખરાબ) પડેલો છે. કોઈ ત્યાં બેસતું નથી, કૂતરા બેસે છે અને સાફ-સફાઈ થતી નથી, એમનેમ પગાર લઈ રહ્યા છે. 'પીક અવર્સના સમયમાં ફૂલ ટ્રાફિક સર્જાય છે'નમ્રિત જોગાણીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી વોર્ડ નંબર 2માં રહીએ છીએ. અહીંયા સરસ મજાનો વી.આઈ.પી. ટુ અબ્રામાનો મેઈન ટી.પી. રોડ બન્યો છે આર.સી.સી. પણ તે રોડમાં અમુક જગ્યાએ ખામી રહી ગઈ છે. ભૂતપૂર્વ કોર્પોરેટરના કારણે જે ઉતરાણ પાવર હાઉસની દીવાલ છે, ત્યાંથી રસ્તો 10 ફૂટ જેટલો સાંકડો થઈ જાય છે. કાયદેસર એ દીવાલ તોડીને તેને વ્યવસ્થિત રીતે રી-ડેવલપ કરી નાખવામાં આવે તો ત્યાંથી રસ્તો ઘણો પહોળો થઈ શકે એમ છે. 'વળાંકના કારણે અકસ્માત ને ભૂતકાળમાં 10 લોકોના મોત થયા છે'જોગાણીએ વધુમાં કહ્યું હતું કે, અહીંયા તાપી નદીના કાંઠે સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. તો ત્યાં જે સીટી વિસ્તાર છે, ત્યાં જેમ ઓવારા ડેવલપ કરેલા છે વ્યવસ્થિત રીતે, તો એ વિસ્તારના અમારા મહાદેવજીનો ઓવારો છે તેને પણ વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે. અહીંયા અબ્રામા ખાતે જે કબ્રસ્તાન આવેલું છે, ત્યાં વળાંકના કારણે ઘણા લોકો ડમ્પરનો ભોગ બને છે. ભૂતકાળમાં ત્યાં 10 જેટલી વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે, તો એ ભયંકર વળાંકનું પણ કંઈક સોલ્યુશન કરવામાં આવે એવી અમારી સ્થાનિક લેવલે રજૂઆત છે. 'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ ઈંગ્લીશ મીડીયમના શિક્ષક છે'સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારે વોર્ડ નં. 2માં, મોટા વરાછામાં 4 સરકારી સ્કૂલો આવેલી છે. છેલ્લા 4 વર્ષથી એક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ચાલુ થયેલી છે. એ 4 વર્ષ થઈ ગયા પણ 4 વર્ષની અંદર 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. હવે વિચાર કરો કે ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવાના છે અને એક શિક્ષકથી કઈ રીતે શક્ય છે?. પણ અત્યાર સુધી 3 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ નિરાકરણ આવેલ નથી. '3-3 વર્ષ થઈ જાય છે અને ભણતર મળતું નથી'તેને વધુમાં કહ્યું કે, કોર્પોરેટરો કહે છે કે અમે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતા નથી. હવે મારી વારંવાર રજૂઆત એ જ છે કે તમે રસ્તા ખરાબ આપો તો ચાલશે, પીવાનું પાણી ના આપો તો પણ ચાલશે, પણ અમારા બાળકનું ભવિષ્ય ન બગડે એ વિશે થોડું વિચારો તમે. એનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. 2-2, 3-3 વર્ષ થઈ જાય છે પણ એ સમય પસાર થાય છે અને ભણતર મળતું નથી. 'વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો'દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ઝોનની અંદર એક પુસ્તકાલય હોય છે, તો ઝોન Aની અંદર પુસ્તકાલય આ ગયા વર્ષે-બે વર્ષ પહેલા બની ગયું છે. ઝોન B વરાછા-સરથાણા ઝોન બન્યું છે નવું, એ ઝોન ખૂબ વિશાળ છે, એમાં લગભગ સાતથી આઠ લાખ લોકોની વસ્તી રહી રહી છે. તો અમારી માંગણી એ છે કે તમે વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો, કે જેથી યુવાનો પુસ્તકો વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે અને પોતાનું કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે. 'ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના સ્વિમિંગ પુલ નથી'તેને વધુમાં કહ્યું કે, બીજી અમારી માંગણી એ છે કે મોટા વરાછામાં એક સ્વિમિંગ પુલની પણ જરૂર છે. સ્વિમિંગ પુલ છે પણ ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના નથી. દરેક સ્વિમિંગ પુલની સાઈઝ ઓલિમ્પિક સાઈઝની કોમ્પિટિશન માટેની બનાવવામાં આવતી હોય છે. ઝોન Aમાં છે એવા ઝોન Bની અંદર નથી બનાવવામાં આવેલા, તો અમારી એ પણ ડિમાન્ડ છે કે 'ખેલો ઇન્ડિયા', 'ખેલો ગુજરાત' નામે ગુજરાત સરકાર વારંવાર કાર્યક્રમ યોજતી હોય છે, તો અમે પણ એવું ઇચ્છીએ છીએ કે કાર્યક્રમની સાથે સાથે અમે એક એવી સુવિધા પણ આપવામાં આવે, જેથી કરીને સ્વિમિંગ પુલ સારો હોય તો યુવાનો તરતા શીખી શકે.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

સંઘવી સામે મોરેમોરો આવવા ઈટાલિયા તૈયાર:કરસનદાસ બાપુએ જગદીશ પંચાલના ચાળા પાડ્યા; કુમાર કાનાણીએ સ્ટેજ પરથી કોને લપેટામાં લીધા?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

પૌત્રીની નજર સામે જ પતિએ દાદીની હત્યા કરી:ગુજરાતનું ગામડું છોડી ચંદીગઢ પહોંચ્યા, ભાગ્યા પછી પોલીસ તપાસ પર સોશિયલ મીડિયાથી નજર રાખી

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે ગોરાડ ગામે પામુબેન નામના એક વૃદ્ધા રહેતા હતા. તેનો પુત્ર જોરૂભાઇ ભાવનગરમાં નોકરી કરતો હતો. જોરૂભાઇની પુત્રી નીકિતાના લગ્ન ત્રાસદ ગામે રહેતા મુમણ સાથે થયા હતા. જ્યારે મુમણની બહેનના લગ્ન નીકિતાના કાકા સાથે થયા હતા. લગ્ન બાદ નીકિતાના કાકી તેના કાકા સાથે રહેતા નહોતા એટલે પરિવાર નીકિતાને મુમણને છોડીને ગોરાડ રહેવા આવી જવા માટે કહેતો હતો પણ નીકિતા તે માટે તૈયાર નહોતી. એક દિવસ પામુબેનના ખબર અંતર પૂછવા માટે નીકિતા અને તેનો પતિ મુમણ ગોરાડ ગામે આવ્યા હતા. જ્યાં પામુબેને નીકિતાને રોકાઇ જવા માટે કહ્યું હતું. જેના પછી મુમણ અને પામુબેન વચ્ચે રકઝક ચાલુ થઇ હતી. હવે આગળ વાંચો.... રકઝક બાદ પામુબેનનો અવાજ ઊંચો થયો. પામુબેનઃ હું નીકિતાને કોઈપણ ભોગે ત્રાસદ જવા દેવાની નથી.મુમણે સામે બૂમ પાડી- નીકિતાને ગોરાડ રાખશો તો જોયા જેવી થશે. એકાદ માણસ ઓછું થશે તો પણ હું એને ત્રાસદ લઇ જવાનો છું. આ રકઝક જોરૂભાઇએ ફોન પર સાંભળી લીધી. તે આગળ વધુ કંઇ સાંભળે તે પહેલાં તો મુમણે પામુબેનના હાથમાંથી ફોન લઇને કટ કરી નાખ્યો. હવે અહીં પામુબેન અને મુમણ વચ્ચેનો ઝઘડો વધતો જતો હતો. શબ્દોની ગરમાગરમી થપ્પડ સુધી પહોંચવાની હતી. પામુબેને ગુસ્સામાં આવીને જમાઇ મુમણને લાફો ઝીંકી દીધો. પામુબેનની આ હરકતથી મુમણ અને નીકિતા ડઘાઇ ગયા. આવું કંઇ બનશે તેવી બન્નેને કલ્પના જ નહોતી. પતિને પડેલી થપ્પડે અત્યાર સુધી શાંત ઊભેલી નીકિતાનું મૌન તોડ્યું. તે ત્રાડુકી.... બા, તમે લાફો કેમ માર્યો? આ તરફ મુમણનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. દાદી સાસુના આવા અણધાર્યા પ્રહારથી તે સમસમી ગયો. પગ પછાડતો ઘરની બહાર નીકળીને ભેંસ રાખવાની ગમાણ તરફ ગયો. ત્યાં જઇને આમ તેમ જોયું તો તેની નજરમાં પાવડો આવી ગયો. મુમણ પર ઝનૂન સવાર હતું. તે બીજું કંઇ વિચારવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે ઝડપથી પાવડો ઉપાડ્યો અને ઘર તરફ દોટ મુકી. ઘરનો દરવાજો ઓળંગીને અંદર આવ્યો ત્યારે નીકિતા પામુબેનની બાજુમાં જ ઊભી હતી. મુમણે નીકિતાને બાજુમાં હડસેલી દીધી અને નીકિતા કે પામુબેન કંઇ સમજે-વિચારે તે પહેલાં જ પોતાના હાથમાં રહેલો પાવડો જોરથી પામુબેનના માથામાં ફટકારી દીધો. પામુબેન વૃદ્ધ હતા વળી, મુમણે અચાનક દોડી આવીને આ રીતે હુમલો કર્યો હતો એટલે તે પોતાને બચાવી શકે તેવી સ્થિતિમાં જ નહોતા. માથામાં પાવડો પડતાં જ પામુબેન લોહીલુહાણ થઇને જમીન પર ફસડાઇ પડ્યા. ગુસ્સાની આગમાં પળવારમાં એવું બની ગયું જે મુમણ અને નીકિતાની જિંદગીને અંધકારમાં ધકેલી દેવાનું હતું. પામુબેન ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યા. બીજી તરફ જોરુભાઇ સાથે એક વાર ફોનમાં વાત થઇ હતી. જેથી તેમને ચિંતા થતી હતી. તેમણે માતા પામુબેનને ફોન કર્યો પણ ફોન બંધ આવતો હતો. હવે જોરૂભાઇએ દીકરી નીકિતા અને જમાઇ મુમણને પણ ફોન કર્યો પરંતુ બન્નેના ફોન પણ બંધ હતા. જેથી જોરૂભાઇ વધુ ટેન્શનમાં આવી ગયા. ન રહેવાતા થોડીવાર બાદ તેમણે લીંબાસી ગામે રહેતા ભાણિયા જયપાલે ફોન જોડ્યો. જોરૂભાઇઃ જયપાલ, ઘરે જા. ત્યાં મમ્મી અને જમાઇ ઝઘડતા હતા. હવે બન્નેના ફોન બંધ આવે છે. તુ ત્યાં જઇને જો અને જે હોય તે મને કહેજે. આ વાત થયાને અંદાજે અડધા કલાકમાં જોરૂભાઇના નાનાભાઇ વિરલે તેમને ફોન કર્યો અને કહ્યું કે જયપાલે આપણા ફળિયામાં રહેતા નિકુલને ફોન કરીને બાના ઘરે મોકલ્યો હતો. નિકુલ ગયો તો બા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. બા મરી ગયા છે. ભાઇના આ શબ્દો સાંભળીને જોરૂભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ. તે ભાવનગરથી સીધા ગોરાડ જવા નીકળી ગયા. તેમને ચિંતા એટલી હતી કે રસ્તામાંથી પણ મુમણને ફોન લગાવ્યો પણ ફોન બંધ આવતો હતો. જેમતેમ કરીને જોરૂભાઇ ઘરે પહોંચ્યા પણ ત્યાંનો માહોલ જોઇને અવાચક થઇ ગયા. ઘરની બહાર ટોળું ઊભું હતું. પોલીસની વાન પડી હતી અને ઘરની અંદર માતાની લાશ હતી. પોલીસે જોરૂભાઇને વિગતો પૂછી તો તેમણે જણાવ્યું કે મારી દીકરી અને જમાઇ આવ્યા હતા અને પછી બોલાચાલી થઇ હતી. હવે દીકરી-જમાઇના ફોન બંધ આવે છે. આના પછી પોલીસે જોરૂભાઇ પાસેથી બન્નેના નંબર લીધા અને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે પણ બન્નેના ફોન સ્વીચ ઓફ જ હતા. નીકિતા અને મુમણની ઓળખ માટે હવે પોલીસ પાસે ફક્ત એક જ રસ્તો હતો, તેનો ફોટો. પોલીસે જોરૂભાઇ પાસે નીકિતાનો ફોટો માંગ્યો. જોરૂભાઇઃ મારી પાસે નીકિતાનો ફોટો નથી.પોલીસઃ કોઇ જૂના આલ્બમમાં હોય તો જુઓ.જોરૂભાઇઃ ના, મારી પાસે છે જ નહીં. પોલીસ માટે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ આવ્યું. આરોપીનો જૂનો ફોટો હોય તો પણ ઓળખ થઇ જાત. જો કે નસીબે પોલીસનો સાથ આપ્યો. છેવટે નીકિતાનો ફોટો મળી ગયો પણ મુમણનો ફોટો ન મળ્યો. પોલીસે બન્નેની તપાસનું પગેરૂં સગાસંબંધીઓના ઘર સુધી લંબાવ્યું પણ ત્યાંથી કંઇ મળ્યું નહીં. અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી. જેમાંથી નિમેશ પ્રજાપતિ નામના યુવકે કહ્યું કે મુમણે બપોરે એક વાગ્યે મારી પાસે બાઇક માંગ્યું હતું પણ મારે નોકરી પર જવાનું હતું એટલે મેં ન આપ્યું. સાંજે ભૂલથી મેં મુમણને મિસકોલ કરતાં તેણે સામે ફોન કર્યો હતો પણ મેં વાત નહોતી કરી. બીજા દિવસે મુમણે ફરી ફોન કરીને પૂછ્યું હતું કે તુ મારા ઘર તરફ ગયો હતો? મારા ભાઇઓ ક્યાં છે? મેં તેને કહ્યું હતું કે હું એ તરફ નથી ગયો, તારા ભાઇઓની મને ખબર નથી. આ વાતચીત બાદ મુમણે દરેક સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. પોલીસે મુમણના ગામ ત્રાસદમાં તપાસ કરી પણ બન્ને ગોરાડથી નીકળ્યા બાદ ત્રાસદ પહોંચ્યા જ નહોતા. પરિવારની પૂછપરછ કરી તો એ પણ આ બન્ને વિષે કંઇ જાણતો નહોતો. મુમણ અને નીકિતા જ્યારે ગોરાડથી બાઇક લઇને નીકળ્યા હતા ત્યારે મુમણે પાવડો સાથે લઇ લીધો હતો. જે રસ્તામાં ફેંકી દીધો હતો. પાવડો ફેંકતી વખતે બન્નેએ હોંશિયારી વાપરીને ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. ફોન કરવા હોય ત્યારે ભીડભાડવાળા વિસ્તરમાં જઇને ફોન કરી લેતા. મુમણ પરિવાર સાથે કોન્ટેક્ટમાં હતો. અઠવાડિયે એક વાર તે ઘરે ફોન કરી લેતો. બીજીતરફ પોલીસ પણ એને પકડવા તત્પર હતી. બન્ને પર વોચ ચાલુ જ હતી. એક દિવસ અચાનક મુમણના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન મળ્યાં. તપાસ કરી તો લોકેશન ચંદીગઢનું આવ્યું. હકીકતમાં મુમણ ત્યાં જઇને જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીએ મુમણનો પગાર જમા કરાવ્યો હતો. મુમણે ચંદીગઢમાં ખર્ચ કર્યો હોવાની એન્ટ્રી પણ તેના એકાઉન્ટમાંથી મળી હતી. આના પરથી એટલું તો સ્પષ્ટ હતું કે મુમણ ચંદીગઢમાં જ હોવો જોઇએ. પોલીસની ટીમ ચંદીગઢ પહોંચી ગઇ અને મુમણનું લોકેશન શોધ્યું. પોલીસને જોતાવેંત જ મુમણ અને નીકિતા ચોંકી ગયા. હવે તેમની પાસે કહેવા માટે કંઇ નહોતું અને સરેન્ડર કર્યા સિવાય છૂટકો નહોતો. પોલીસ બન્નેને પકડીને ગુજરાત લાવી. પૂછપરછ કરી તો ખુલાસો થયો કે મુમણ તેના પરિવારના સંપર્કમાં હતો. દૂરના મામા-મામી સાથે વાત કરીને કેસનું અપડેટ જાણી લેતો હતો. ચંદીગઢ પહોંચીને તેણે નવી જિંદગી શરૂ કરી હતી.એક ઘર ભાડે રાખ્યું હતું અને નવું સીમકાર્ડ ખરીદીને નવો મોબાઇલ નંબર પણ લીધો હતો. પોતે મજૂરી કરવા જતો. નીકિતા અને મુમણ જાહેર જગ્યાએ જઇને સોશિયલ મીડિયામાં એ પણ જોઇ લેતા હતા કે પોલીસની તપાસ કેટલે પહોંચી છે. જો આ કેસમાં મુમણ એકલો જ ભાગી ગયો હોત તો નીકિતા આરોપી ન પણ બનત પણ બન્ને સાથે મળીને ભાગ્યા અને પુરાવાનો નાશ પણ કર્યો એટલે નીકિતા પણ આરોપી બની. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પૌત્રીની નજર સામે જ પતિએ કરી દાદીની હત્યા, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 6:00 am

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:આજથી ગરમીમાં ક્રમશ: વધારો થશે શનિ-રવિમાં પારો 410ને પાર કરી જશે

છેલ્લા 15 દિવસથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી-ઠંડીની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. મગંળવારે પણ શહેરના વાતાવરણમાં બપોર પછી પલટો આવ્યો હતો. જેને કારણે પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા તેમજ 18 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ ગુરુવારથી શહેરમાં ગરમીમાં ક્રમશ: વધારો થશે જ્યારે શુક્રવારથી પારો 40 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 3.6 ડિગ્રી વધીને 36.4 અને લઘુતમ તાપમાન 1.3 ડિગ્રી વધીને 24.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થવાની શક્યતા છે. જેની અસરોથી ગુરુવારથી તાપમાનમાં વધારો થશે. 11 અને 12 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંકિત પટેલે કહ્યું કે, 8 એપ્રિલે ધુપ-છાવનું વાતાવરણ રહેશે, પણ ગુરુવારથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થશે. 5 વર્ષમાં એપ્રિલમાં ગરમી ક્યારે 40 ડિગ્રીએ પહોંચી વર્ષ 40 ડિગ્રી ક્યારે પહોંચી નોંધપાત્ર તાપમાન 2025 5 એપ્રિલ 7 એપ્રિલે 43 ડિગ્રી 2024 15-20 એપ્રિલ 17 એપ્રિલે 42.2 ડિગ્રી 2022 5-10 એપ્રિલ શરૂઆતથી જ આકરો તાપ 2021 15 એપ્રિલ બાદ મધ્ય એપ્રિલમાં ગરમી વધી 2023 એપ્રિલ અંતમાં મોડી ગરમીની શરૂઆત

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સિટી એન્કર:કચ્છના NRI દ્વારા છપૈયાથી ભુજ સુધી 1700 કિમીની રિક્ષા યાત્રા સંપન્ન

મેક એ ચેન્જ ફાઉન્ડેશન - UK દ્વારા કચ્છના NRI લોકોના સહયોગથી સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયાથી પોતાના વતન ભુજ સુધીની એક રિક્ષા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1700 કિલોમીટર લાંબી આ યાત્રાનું સમાપન ભુજના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાનો હતો. આ 7 દિવસીય યાત્રામાં 29 રિક્ષાઓ સાથે કુલ 87 ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં ઇંગ્લેન્ડ, કેન્યા અને ઓસ્ટ્રેલિયા જેવા 3 દેશોના સહભાગીઓ સામેલ હતા. આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ રહી કે ફાઉન્ડેશનના 11 ટ્રસ્ટીઓ (જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી), યુકે સમાજના ખજાનચી અને અનેક મોટા બિઝનેસમેનોએ જાતે રિક્ષા ચલાવીને આ યાત્રામાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો. યાત્રા ઉત્તર પ્રદેશના અયોધ્યા, કાનપુર, આગ્રા તેમજ રાજસ્થાનના જયપુર, પાલી થઈને ગુજરાતમાં પાલનપુર અને રાપર માર્ગે ભુજ પહોંચી હતી. ગુજરાત બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા યાત્રીઓ માટે ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રીઓના આરોગ્યની સંભાળ માટે એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સની સુવિધા 24 કલાક પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર માર્ગમાં સેવા સાધના સંસ્થા દ્વારા પરંપરાગત વેશભૂષામાં તિલક અને પુષ્પવર્ષાથી યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. રાપર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય બાલકૃષ્ણદાસજીએ યાત્રીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના નિવાસ તથા અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. ભુજના સરદાર પટેલ સંકુલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં યાત્રીઓનું બેન્ડ વાજા અને ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મેક એ ચેન્જના પ્રમુખ કિરણભાઈ પીંડોરિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રવજીભાઈ ખેતાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગોપાલભાઈ ગોરસીયાએ સંસ્થાના 100 ટકા પારદર્શક વહીવટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે મળેલા ફંડનો ઉપયોગ અન્ય ખર્ચમાં કરવાને બદલે માત્ર સેવા માટે જ થાય છે. નારાણભાઈ વેલાણીએ ફાઉન્ડેશનના હાજીપીર ગામના નિર્માણ સહિતના ભૂતકાળના સેવા કાર્યોની માહિતી આપી હતી. અંતમાં મેક એ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા તમામ સહયોગીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન શ્રી રામજીભાઈ સેંઘાણી અને અશ્વિનભાઈ પાંડોરીયા દ્વારા તેમજ સંચાલન સચિન મેઘાણી અને જેન્તીભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્યોની વણઝારયાત્રાની પૂર્ણાહુતિ બાદ તમામ 29 રિક્ષાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પરિવારોને તેમની આજીવિકા રળવા માટે વિનામૂલ્યે દાનમાં આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત, આ આયોજન થકી મળેલા સહયોગનો ઉપયોગ કેન્યાના આફ્રિકન લોકો માટે આંખોના આરોગ્ય અર્થે યોજાનાર આઈ-કેમ્પમાં કરવામાં આવશે. મેક એ ચેન્જ દ્વારા રાપર સ્થિત સેવા સાધના કચ્છ સંચાલિત કુમાર છાત્રાલયની લાયબ્રેરી માટે કમ્પ્યુટર, ફર્નિચર અને પુસ્તકો વસાવવા 7 લાખ રૂપિયાનું માતબર દાન પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am

સમસ્યા:માર્ગ-ગટર બન્યા, રેલવે સ્ટેશન પાસે સમસ્યા યથાવત

વોર્ડ નંબર 2 એટલે ભીડગેટ થી એરપોર્ટ સુધીનો દાદુ પીર રોડને જોડતો વિસ્તાર. અહીંની વસાહત મોટે ભાગે ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાથી વર્ષોથી પીડાઈ રહી છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશનની સામે છેલ્લા પાંચ વર્ષમાંથી ચાર વર્ષ ગંદુ પાણી ભર્યું રહ્યું છે. હાલ રોડનું કામ ચાલુ છે અને ડ્રેનેજ માટે પણ નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે એટલે રાહત મળશે. આ વિસ્તારના એક માત્ર ભાજપના નગરસેવક અને ત્રણ કોંગ્રેસના નગર સેવક છે. ગીતા કોટેજ, મોહમ્મદી કોલોની, બાપા દયાળુ, ગાંધી નગરીમાં નવા માર્ગ બની ગયા છે, સથવારા વાસમાં પણ વર્ષોથી ગટરની લાઇન નહોતી તે નવી નાખવામાં આવી છે. જોકે પાણી વિતરણમાં જોઈએ તેટલો પુરવઠો નથી મળતો તેવું કોંગ્રેસના નગરસેવિકા મંજુલાબેન જગદીશભાઈ ગોર જણાવે છે. ભગત વાડી સહિતના અમુક વિસ્તારોમાં નવી ગટર લાઈન પડી છે સથવારા વાસનો માર્ગ પણ બન્યો છે. આમ એક તારણ એવું નીકળી શકે કે રજૂઆતના પ્રમાણમાં અડધા કામ તો થયા છે. ભીડ ગેટની સામે ઘાસચારા માર્કેટ હજુ પણ ગંદકીથી ખદબદતીરાજાશાહીના સમયથી ભીડ ગેટની સામે ગાયોને ઘાસચારાનું નિરણ કરવા માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. આ જ જગ્યાએથી વરસાદી અને ગટરનું પાણી પસાર થતુ હોવાથી બારે મહિના ગંદકી રહેતી હોય છે. જેના ઉકેલ માટે હજુ સુધી નગરપાલિકાએ ગંભીરતા બતાવી નથી.ગૌવંશ અને ગાયો માટે 6 થી 12 ઇંચ જેટલા કાદવમાં 10-10 કલાક સુધી ઉભા રહેવું એટલે પગના રોગને આમંત્રણ આપવા જેવું છે. સુધરાઇના સત્તાધિશોએ જીવદયા પણ બતાવવી રહી. રેલવે ફાટક દૂર કરીને ત્યાં આરઓબી જરૂરી બન્યો છેવોર્ડ નંબર બે માં આવેલું રેલવે સ્ટેશન અને તેની નજીકથી પસાર થતો માર્ગ છે હવે વાહન વ્યવહાર વધવાથી 24 કલાક ધમધમતો રહે છે. હોટલ ડોલર પાસે રેલવે ફાટક વર્ષોથી જે પહોળાઈનો છે તે જ છે, જ્યારે ટ્રાફિકનું ભારણ વધ્યું છે. માટે આ વિસ્તારમાં જો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અકસ્માતની શક્યતા ઘટે તેમજ વાહનો પણ સરળતાથી પસાર થઈ શકે. વિસ્તાર: સથવારા વાસ, કોલીવાસ, એરપોર્ટ રોડ, દાદુપીર રોડ, વાલ્મિકી વાસ, શાંતિનગર, શિવનગર, આઝાદ નગર, શેખ ફળિયા, ચાંદ ચોક, એરફોર્સ, એમઇએસ કોલોની, સિતારા ચોક, કુંભારવાસ, સોનપુરી સ્મશાન વેગેરે મતદારોની સંખ્યા પુરુષ 5,722સ્ત્રી 5,509ત્રીજી જાતિ - કુલ 11,231

દિવ્ય ભાસ્કર 8 Apr 2026 5:30 am