ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત પંચાયત સર્ટિફિકેટ વિતરણ સમારોહ વેરાવળના કૉમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું. આ પ્રસંગે 176 ગ્રામ પંચાયતોના સરપંચોને ટી.બી. મુક્તિ માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્મોક ફ્રી વિલેજ અભિયાન હેઠળ 117 ગામોને વ્યસનમુક્ત બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વ્યસનમુક્તિ અને આરોગ્યના ગાઢ સંબંધ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ટી.બી. જેવા ચેપી રોગના મુખ્ય કારણોમાં તમાકુ અને અન્ય વ્યસનોનો મોટો ફાળો છે. તેમણે સરપંચોને પોતાના ગામમાં વ્યસનમુક્તિ માટે ઠરાવ પસાર કરી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. તેમણે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને શાળાકક્ષાએથી બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, એક સમયનો રાજરોગ ગણાતો ટી.બી. હવે આધુનિક સારવાર અને સંકલિત પ્રયાસોથી નિયંત્રણમાં આવી રહ્યો છે. તેમણે 'નિક્ષય મિત્ર' પહેલની પ્રશંસા કરતા કહ્યું કે, જિલ્લાના દરેક દર્દીને પોષણ કિટ પૂરી પાડવામાં આવી રહી છે, જે તેમના સ્વાસ્થ્ય સુધારામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. તેમણે જિલ્લામાંથી ટી.બી.નું સંપૂર્ણ નિર્મૂલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શીતલ રામે આંકડા રજૂ કરતા જણાવ્યું કે, 2023માં 31, 2024માં 148 અને 2025માં 176 ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત બની છે, જે આ અભિયાનની સતત પ્રગતિ દર્શાવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ અને અનેક સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય સંદેશ સ્પષ્ટ હતો કે, જનભાગીદારી અને સંકલિત પ્રયાસોથી જ ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ ટી.બી. મુક્ત અને વ્યસનમુક્ત બનવાની દિશામાં સફળતા હાંસલ કરી રહ્યો છે.
દ્વારકામાં દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસ પ્રકરણમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરાયા બાદ હવે ખંભાળિયાના વધુ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું. આ ચકચારી પ્રકરણની વિગત મુજબ, દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ગત 3 ફેબ્રુઆરી, 2024 ના રોજ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મુખ્ય આરોપી જાવેદ બાબીની અટકાયત કરી તેને જેલ હવાલે કર્યો હતો. તપાસ દરમિયાન, ખંભાળિયાના પઠાણ પાડો વિસ્તારમાં રહેતા ફારુક યુસુફ બાબી અને ઇન્દ્રિશ સલીમ બાબી નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. આથી પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની ધરપકડ કરી છે. મંગળવારે સાંજે, એલસીબી પોલીસે જાપ્તા સાથે આરોપીઓને ખંભાળિયામાં તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં ગૌવંશનું કતલ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સ્થળે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ ગૌવંશની હત્યા અને માંસ વેચવાના કામમાં સંડોવાયેલા હતા. પંચનામા દરમિયાન, એફ.એસ.એલ. વિભાગની ઉપસ્થિતિમાં કતલ માટે ઉપયોગમાં લેવાયેલા છરા, છરી અને કોઈતા જેવા હથિયારો પણ સ્થળ પરથી કબજે કરવામાં આવ્યા હતા.
વેરાવળમાં ચેટીચંદ પર્વની ઉજવણી:સિંધી સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમોનું આયોજન
વેરાવળમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની બે દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ઝુલેલાલની 1077મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પૂર્વ સંધ્યાએ, ગુરુવાર, 19 માર્ચ, 2026 ના રોજ રાત્રે 10:30 કલાકે 'વેલકમ ચેટીચંદ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ વેરાવળના સચખંડ દરબાર, 80 ફૂટ રોડ, તાજ સોસાયટી ખાતે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા આયોજિત છે. જેમાં ચોરવાડના અશોક તન્ના મ્યુઝિકલ પાર્ટી દ્વારા ઝુલેલાલ સાહેબના ભજનો અને ગીતો રજૂ કરાશે. આ ઉપરાંત, ભાઈઓ માટે સિંધી છેજ, બહેનો દ્વારા રાસ ગરબા અને બાળકો દ્વારા સિંધી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સિંધી સમાજના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમ અનિશ રાચ્છની એક યાદીમાં જણાવાયું છે. શુક્રવાર, 20 માર્ચ, 2026 ના રોજ સવારે 10 કલાકે લીલાશા બાગ વાડી, બિહારી નગરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી 80 ફૂટ રોડ, બજરંગ રોડ, નવદુર્ગા ગરબી રોડ, લીલાશાહ નગર થઈ ગુરુદ્વારા રીંગ રોડ પર પૂર્ણ થશે. ત્યારબાદ, બપોરે 1:00 થી 2:30 કલાકે લીલાશાહ બાગ વાડી, બિહારી નગર ખાતે પ્રસાદી (લંગર)નું આયોજન કરાયું છે. સાંજે 3:00 કલાકે ઝુલેલાલ મંદિર, વાણંદ સોસાયટીથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા સોમનાથ સોસાયટી 3, 60 ફૂટ રોડ, 80 ફૂટ રોડ, નટવર ચોક, બજરંગ સોસાયટી, નવદુર્ગા ગરબી રોડ, રીંગરોડ સોમનાથ સોસાયટી 2, અંબાજી મંદિર, લીલાશાનગર થઈ ટાવર ચોક અને અયોધ્યા ચોક (કાકા સેન્ડવીચ) પાસે સમાપ્ત થશે. રાત્રે 8:00 થી 11:00 કલાકે લીલાશા બાગ વાડી, બિહારી નગર ખાતે સત્સંગ મંડળીનો કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ પ્રસાદીનું આયોજન છે. આ સમગ્ર આયોજન સિંધી જનરલ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. સિંધી જનરલ પંચાયતના પ્રમુખ લાલચંદ એસ. ત્રિલોકાણી, ઉપપ્રમુખ રમેશભાઈ એસ. આહુજા અને યુવા આગેવાન ચંદ્રકાંત મુલચંદનાણીએ સમાજના સહપરિવાર સભ્યોને આ કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરી છે.
સાપર નજીક LPG ટેન્કર પલટ્યું, કોઈ જાનહાનિ નહીં:જામનગર-ખંભાળિયા માર્ગે અકસ્માત, તંત્રની ટીમ દોડી
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સાપર ગામના પાટિયા પાસે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં એક એલપીજી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જી.જે.-૬ એ.એક્સ. 9024 નંબરનું આ ટેન્કર મોટી ખાવડીથી 17 ટન એલપીજી ભરીને સાણંદ જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, સાપર ગામના પાટિયા પાસે એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા અથવા કાવો લેતા અકસ્માત સર્જાયો હતો. ગેસ ટેન્કરના ચાલક મનજીતસિંઘે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે વજનને કારણે ટેન્કર તેના હોર્સથી છૂટું પડીને માર્ગની બાજુમાં ઉતરી ગયું અને પલટી ખાઈ ગયું. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું ન હતું. અકસ્માતની જાણ થતાં જ સિક્કા જીએસએફસી, ડીસીસી કંપની, રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટર, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સિક્કા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ક્રેઈનની મદદથી પલટી ગયેલા ટેન્કરને ફરીથી ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં નવો હોર્સ જોડીને તેને રાજકોટ તરફ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ આજે 19મી માર્ચથી રાજ્યમાં ઉત્તરવહીઓની ચકાસણી શરૂ થઈ ગઈ છે. રાજકોટના 25 સહિત રાજ્યના 454 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરથી 75,000 શિક્ષકોને પેપર ચકાસણી માટેનો ઓર્ડર આપવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 50 % શિક્ષકો ગેરહાજર રહ્યાપેપર ચેકિંગ માટે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે 50 % શિક્ષકો ગેરહાજર રહ્યા છે અને જે હાજર છે. તેમાં પણ ધોરણ 12 સાયન્સમાં માસ્ટર ડિગ્રી સાથે બી.એડ. ન થયેલા હોય તેવા ખાનગી શિક્ષકોને ઓર્ડર અપાયા હોવાથી તેઓ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પહોંચ્યા હતા. જોકે કેન્દ્ર નિયામકો દ્વારા તેઓને પેપર ચેકીંગ કરવા દેવામાં આવ્યા ન હતા અને પરત મોકલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં 80,248 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપીરાજકોટમાં ધોરણ 10માં 40 પરીક્ષા કેન્દ્રોના 183 બિલ્ડીંગ પરથી 46,657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 પરીક્ષા કેન્દ્રોના 101 બિલ્ડીંગ પરથી 25,657 તો 12 વિજ્ઞાન પ્રવાહમાં 39 બિલ્ડીંગ પરથી 7934 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 65 કેન્દ્રોના 323 બિલ્ડીંગના 2816 બ્લોક પરથી 80,248 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આજથી એક અઠવાડિયા સુધી પરીક્ષણ કાર્ય ચાલશેશહેરની ચૌધરી હાઈસ્કૂલના આચાર્ય અને ધોરણ 12 સાયન્સ ફિઝિક્સના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામક ડૉ. જયેશ વસોયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ દ્વારા 18 માર્ચના સાંજે ગુજરાતી માધ્યમની 5100 અને અંગ્રેજી મીડિયમની 4800 ઉત્તરવહી પોલીસ રક્ષણ સાથે સીલ બંધ કવરમાં સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસ જવાનોની હાજરીમાં ઉત્તરવહીઓ સીલ કરી હતી. બાદમાં આજે સવારે સીલ ખોલવામાં આવ્યું છે અને આજથી પરીક્ષણ કાર્ય શરૂ કર્યું છે. એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલશે. B.edની લાયકાત ન ધરાવતા શિક્ષકોને પરત મોકલાયાતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચકાસણી કરતા શિક્ષકોની જે લાયકાત નક્કી કરી છે તેમાં ડિગ્રી સાથે બી.એડ. ફરજિયાત છે. જોકે અહીં ખાનગી શાળાના કેટલાક શિક્ષકો આવ્યા છે કે જેઓની પાસે માસ્ટર ડિગ્રી સાથે વ્યવસાયિક એવી બી.એડ.ની લાયકાત નથી. જોકે બોર્ડના નિયમને અનુસરતા અમે તેમને પેપર ચકાસવા ન દઈ શકીએ જેથી અમે તેમને પરત મોકલ્યા છે. પેપર ચકાસણી માટે 56 શિક્ષકોમાંથી 23 હાજર રહ્યાજ્યારે આ જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા જયદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પેપર ચકાસણીની કામગીરી છે. જેથી શિક્ષકો પણ ખૂબ જ સજ્જ છે. ધોરણ 12 ફિઝિક્સની ઉત્તરવહીની ચકાસણી માટે 85 શિક્ષકોના ઓર્ડર થયા હતા જોકે તેમાંથી 55 શિક્ષકો હાજર રહ્યા છે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પેપર ચકાસણી માટે 56 શિક્ષકોના ઓર્ડર થયા હતા જેમાંથી 23 હાજર રહ્યા છે. ધોરણ 10ના પેપરોનું કયા કેન્દ્રો પરથી ચેકિંગ? ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપરોનું કયા કેન્દ્રો પરથી ચેકિંગ? ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરોનું કયા કેન્દ્રો પરથી ચેકિંગ?
પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.કે. નાયીનું પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમાજે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા બદલ તેમની કામગીરીને બિરદાવી હતી. લેઉવા પાટીદાર સમાજના પ્રતિનિધિ મંડળે SP કચેરી ખાતે ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, સમાજના અગ્રણીઓએ SP વી.કે. નાયીને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીનું સન્માન કર્યું હતું. સમાજ દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે હાજર રહેલા લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં પોલીસ વહીવટ પારદર્શક અને અસરકારક રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લો કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આદર્શ બની રહેશે. સમાજ દ્વારા તેમને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજે રમજાન ઈદના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે નાના બાળકોએ વિસ્તારમાં લાગેલા મેળામાં આનંદ માણ્યો હતો. પરિવારોએ દૂધ સેવૈયા આરોગીને ઈદની ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. પવિત્ર રમજાન માસ દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોએ એક મહિના સુધી રોજા રાખી ઈબાદત કરી હતી. એક મહિનાના રોજા પૂર્ણ થતાં ઈદનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર મૌઝમ બોમ્બેવાલાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાઉદી વ્હોરા સમાજ રસુલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવે છે. તેમણે આગામી દિવસોમાં આવનારી મુસ્લિમ સમાજની ઈદ માટે પણ તમામ બિરાદરોને શુભકામનાઓ પાઠવી હતી.
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, જેની સાથે ભક્તિમય ચૈત્ર માસનો પણ આરંભ થયો છે ભાવનગર શહેરના નાના અંબાજી અને મોટા અંબાજી મંદિરો સહિત અન્ય દેવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી,શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા, હિન્દુ શાસ્ત્રો અનુસાર ચાર નવરાત્રીઓમાં આસો માસની નવરાત્રી પછી ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે, જેમાં સમગ્ર ચૈત્ર માસ ભક્તિ અને ઉપાસનાનો ગણાય છે આ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક કાર્યો, કથા-પારાયણ અને ઈશ્વરીય ઉપાસનાઓમાં લીન રહે છે, ભાવનગર શહેર અને જિલ્લામાં ચૈત્ર માસની ઉજવણી માટે છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી, મંદિરોમાં સાફસફાઈ, રંગરોગાન અને સુશોભન કરવામાં આવ્યું હતું, આ માસમાં ભગવાનની ઉપાસના વિશેષ ફળદાયી મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓને રીઝવવા વિવિધ ઉપાસનાઓ કરશે, અમાસના દિવસે બજારોમાં પૂજા સામગ્રીની ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી. જિલ્લામાં આવેલા શક્તિ પીઠ સમાન દૈવી સ્થાનો જેવા કે રાજપરા-ખોડિયાર મંદિર, ઊંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ, મહુવા ભવાની શક્તિ પીઠ અને ભગુડા મોગલધામ ખાતે આગામી ત્રીસ દિવસ સુધી માઈ ભક્તોનો ભારે ધસારો જોવા મળશે, આ ભીડને પહોંચી વળવા માટે મંદિર પ્રશાસનો અને ટ્રસ્ટો દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન, પૂજન, પ્રસાદ અને ઉતારા સહિતની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં ડ્રાઇવર, કંડક્ટર તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓ આજે ફરજ મોકૂફ રહ્યા હતા. તેઓની માગ છે કે, અમારો પગાર સમયસર આપવામાં આવતો નથી. સાથે સેફ્ટીના સાધનો પણ આપવામાં આવ્યા નથી. આજે ફરજ પર ન રહી પોતાની માંગણીને સ્પષ્ટ કરવા નવલખી મેદાનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. 'ટાઇમસર પગાર માટે અનેક રજૂઆત કરી છતાં પગાર ટાઈમે મળતો નથી'વાડીવાડી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારી હેમેન્દ્ર શિંદે એ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું અલ્ટ્રા મોર્ડન એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલે છે. અમે પગારની રજૂઆત કેટલાય ટાઈમથી કરી રહ્યા છીએ કે પગાર ટાઈમસર કરો. હજુ સુધી પગાર થતો નથી. અમારો પગાર સાત તારીખે આવવો જોઈએ, પરંતુ કોઈ દિવસ થયો જ નથી. એટલે અમે આ અંગેની રજૂઆત કરેલી છે છતાં પગાર ટાઈમસર થતો નથી. યુનિફોર્મ અને સેફ્ટી શૂઝ પણ નથી મળતાવધુમાં જણાવ્યું કે, અમને PF-ESI અને રજાઓ મળતી નથી. સાથે ટાઈમસર પગાર નથી થતો, યુનિફોર્મ નથી મળતો, સેફ્ટી શૂઝ નથી મળતા. જે કંઈ કોન્ટ્રાક્ટમાં આવે છે એ તો મળવું જોઈએ. અમે હાલમાં 100 જેટલા કર્મચારી છીએ જેમાં ડ્રાઈવર અને કંડક્ટર છે. હવે અમારી વેદના કોણ સાંભળશે. અમારી ડિમાન્ડ એ છે કે અમે તો બધા કર્મચારીઓ નોકરી કરવા તો માગી જ રહ્યા છીએ, કોઈ એવું નથી કે નોકરી કરવા ના પાડે પણ ટાઈમસર તો પગાર થવો જોઈએ. '15,000 પગારમાં બધું થાય નહીં એ અધિકારીને પણ ખબર છે'વધુમાં કહ્યું કે, કોન્ટ્રાક્ટર જોડે વાત કરીએ છીયે સાથે સુપરવાઈઝર જોડે પણ વાત કરી છે છતાં તેઓ કહે છે બે દિવસ પછી, બે દિવસ પછી. હાલ હમણાં અઠવાડિયું-દસ દિવસ થઈ ગયા એવી જ વાત મળે છે કે બે દિવસ પછી થશે પણ હજુ સુધી પગાર નથી થયો. અમારે ઘરબાર કેવી રીતે ચલાવવાનું? અમારે બૈરા-છોકરાઓ છે, અમારે સ્કૂલની ફી ભરવાની હોય છે. બધી રીતે અમારી પર લોડ આવી જાય છે અને 15,000 પગારમાં બધું થાય નહીં એ અધિકારીને પણ ખબર છે. વહેલી તકે અમારી માગણીઓ સ્વીકારાય એવી આશાઅન્ય કર્મી ચેતન પરમારે જણાવ્યું હતું કે, અમે અલ્ટ્રા મોર્ડન એજન્સીમાં નોકરી કરીએ છીએ. વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમાં ડ્રાઈવર કમ કંડક્ટર તરીકે ફરજ બજાવીએ છીએ. હાલમાં એવું છે કે ગયા મહિનાનો ફેબ્રુઆરીનો અમારો પગાર થયો નથી. હું કોન્ટ્રાક્ટમાં 2022થી આવેલો છું ત્યારથી લઈને એક જ વાર અમને યુનિફોર્મ, બૂટ અને આ બધી સુવિધાઓ આપેલી છે. બાકીની કોઈ સુવિધા મળેલી નથી. સેફ્ટીને લઈ કહ્યું કે, વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ફ્રન્ટ લાઈન પર હોય છે, ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થતું હોય છે. અમે જઈએ છીએ પણ તો સેફ્ટી જો હોય તો સારામાં સારું રહે.
દાડમના બગીચામાં આંતરપાકથી લાખોની કમાણી:સુરેન્દ્રનગરના ખેડૂત પ્રકાશભાઈ પટેલે અપનાવી સ્માર્ટ ફાર્મિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રતિલાલભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી આધુનિક પદ્ધતિ અપનાવી છે. તેમણે દાડમના બગીચામાં આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેમને વીઘે રૂ. 80,000 સુધીનું ઉત્પાદન મળે છે. પ્રકાશભાઈ વર્ષોથી કપાસ, ધાણા અને ચણા જેવી પરંપરાગત ખેતી કરતા હતા. આ ખેતીમાં મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી સામે માંડ દસ મણનો ઉતારો મળતો હતો, જેનાથી માત્ર ગુજરાન ચાલતું હતું. ખેતીમાં ખર્ચ વધતો અને વળતર ઘટતું હોવાથી તેમણે પદ્ધતિ બદલવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ખેડૂતોની આવક બમણી કરવાના મિશનથી પ્રેરિત થઈને પ્રકાશભાઈએ આધુનિક ખેતી અપનાવી. તેમણે પોતાની 45 વીઘા જમીનમાં તરબૂચ અને 30 વીઘા જમીનમાં ટેટીનું સફળ વાવેતર કર્યું છે. આ ઉપરાંત, તેઓ ટમેટા અને કાકડી જેવા શાકભાજીનું પણ વાવેતર કરી ખેતીને વિવિધતાસભર બનાવી રહ્યા છે. પ્રકાશભાઈએ 35 વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. દાડમનો પાક તૈયાર થતા લાંબો સમય લાગે છે, તે દરમિયાન જમીન ખાલી ન રહે તે માટે તેમણે આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિથી જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે અને મુખ્ય પાક તૈયાર થાય તે પહેલાં જ ટૂંકા ગાળાના પાકો દ્વારા તેમને રોકડી આવક મળવા લાગે છે. ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે પ્રકાશભાઈ મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. મલ્ચિંગથી પાણીની બચત થાય છે અને નિંદામણનો પ્રશ્ન ઉકેલાય છે, જ્યારે ગ્રો-કવર પાકને રોગ-જીવાત અને પ્રતિકૂળ હવામાનથી બચાવે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અને સબસિડી તેમને આધુનિક સાધનો અપનાવવામાં મદદરૂપ થઈ છે, જેનાથી તેમનો આર્થિક બોજ હળવો થયો છે. પ્રકાશભાઈની આ સફળતાએ આસપાસના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની ખેતી જોવા માટે વેપારીઓ સામે ચાલીને ખેતરે આવે છે, જે તેમની ઉત્પાદનની ગુણવત્તા અને બજારમાં તેની માંગ દર્શાવે છે. તેમની ખેતપેદાશોની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ હોય છે કે, વેપારીઓ સામે ચાલીને ખેતરે આવીને માલ ખરીદે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે છે અને વચેટિયામુક્ત સીધું વેચાણ શક્ય બને છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, પ્રકાશભાઈને ગત વર્ષે વીઘે અંદાજે રૂ. 80,000 સુધીનું મબલખ ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે પણ શિયાળુ અને ઉનાળુ પાક દ્વારા તેઓ લાખોની કમાણીની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે, જો ખેડૂત જાગૃત બનીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી, પરંતુ સોનાની લગડી સમાન બની શકે છે. આજે પ્રકાશભાઈ માત્ર એક સફળ ખેડૂત નથી, પણ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આદર્શ બની ગયા છે. નવલગઢનો આ 'પ્રકાશ' આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિનો દીવો પ્રગટાવી રહ્યો છે. જો ખેડૂત પરંપરાગત ઢબ છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ખરેખર સમૃદ્ધિનું દ્વાર ખોલી શકે છે. પ્રકાશભાઈ માત્ર પોતાની પ્રગતિથી સંતુષ્ટ નથી, પરંતુ તેઓ આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ આધુનિક ખેતી તરફ વાળવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. નવલગઢના જ ખેડૂત કમલેશભાઈ જણાવે છે કે, “અમે વર્ષોથી કપાસ અને અન્ય પરંપરાગત પાકો લેતા હતા જેમાં ઘણીવાર ખર્ચ પણ માંડ નીકળતો. પરંતુ પ્રકાશભાઈની સલાહથી આ વર્ષે મેં 10 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે. અમારો આ પ્રથમ અનુભવ હોવા છતાં, કપાસની સરખામણીએ ટેટીમાં ઘણો સારો ફાયદો દેખાઈ રહ્યો છે. આવકમાં મોટો ઉછાળો જોવા મળતા હવે અમે આધુનિક ખેતી તરફ વળ્યા છીએ.” અન્ય એક પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જાદવ કહે છે કે, “પહેલા અમે ધાણા, જીરું અને કપાસની ખેતીમાં મહેનત કરતા હતા, પણ જ્યારે પ્રકાશભાઈના ખેતરે જઈને ટેટીનું સફળ વાવેતર જોયું ત્યારે અમને નવી દિશા મળી. હાલમાં ટેટીના વાવેતરથી અમને વીઘે રૂ. 50,000થી 60,000 જેવી માતબર આવક થઈ રહી છે. સૌથી સારી વાત એ છે કે, પ્રકાશભાઈ પોતે અમારી વાડીએ આવીને માર્ગદર્શન આપે છે અને નવું નવું શીખવાડે છે.” આમ, નવલગઢના પ્રકાશભાઈ પટેલ આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ સમૃદ્ધિનો 'પ્રકાશ' ફેલાવી રહ્યા છે. તેમની મહેનત, સરકારી યોજનાઓનો લાભ અને આધુનિક વિચારધારાએ સાબિત કરી દીધું છે કે 'સ્માર્ટ ફાર્મિંગ' એ જ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. ખેતીને માત્ર મજૂરી નહીં પણ એક 'વ્યવસાય' તરીકે વિકસાવવાની પ્રકાશભાઈની આ મુહિમ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે ભારતીય તટરક્ષક (કોસ્ટગાર્ડ) સ્ટેશનની આધુનિક ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડી.આઈ.જી. શશીકુમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ નવી સુવિધા પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડના ઓપરેશનલ અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવશે. આધુનિક ઓફિસ કોમ્પ્લેક્સ, કર્મચારીઓ માટે રહેણાંક અને પરિવારો માટે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે, જે કાર્યક્ષમતામાં વધારો કરશે. આ પ્રસંગે ડી.આઈ.જી. શશીકુમાર ઉપરાંત ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પંકજ અગ્રવાલ, કમાન્ડર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પીપાવાવ સુભાષ કપૂર, APM ટર્મિનલ પીપાવાવ પોર્ટના સી.ઓ. ક્લિન્ટ કર્મીચલ, પીપાવાવ પોર્ટ એડમિન ઓફિસર અંકુર વિશિષ્ટ, અલ્ટ્રાટ્રેક ચૌધરી, દેવેન્દ્ર સિંગ, રાજુલા રેન્જ RFO યોગેશ કળસરીયા, PSI કે.ડી. હડિયા, PSI મહેન્દ્ર સિંહ ગોહિલ તેમજ રાજ્ય અને કેન્દ્રીય ગુપ્તચર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીપાવાવમાં ભારતીય કોસ્ટગાર્ડનું મુખ્ય મથક હોવાથી, કમાન્ડ ઓફિસરના નેતૃત્વ હેઠળ રાજુલા, જાફરાબાદ અને પીપાવાવના દરિયાકાંઠા વિસ્તારમાં બોટ અને જહાજો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આનાથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી શકાય છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે.
જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા છે તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોખમી સ્ટંટ સાથે રેલી યોજીજૂનાગઢમાં ABVPના નવા હોદ્દેદારોની નિમણૂક બાદ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી આ રેલીમાં શિસ્તના પાઠ ભણાવતા સંગઠનના કાર્યકર્તાઓ જ શિસ્ત ભૂલ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ચાલુ ગાડીના બોનેટ પર બેસીને જોખમી રીતે સીન સપાટા કરી રહ્યા છે. ડીજેના તાલે ઝૂમતા આ યુવાનોએ પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને યોજાયેલી આ રેલીમાં અનેક ગાડીઓ પર કાર્યકર્તાઓ લટકતા અને બોનેટ પર બેઠેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પોલીસ આવા કિસ્સામાં 'સ્ટંટબાજો' વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધીને કડક કાર્યવાહી કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સંગઠનનું રાજકીય પીઠબળ હોવાને કારણે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. શું પોલીસ રાજકીય દબાણ હેઠળ છે ?સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ જૂનાગઢની જનતામાં ભારે ચર્ચા જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે? જો કોઈ સામાન્ય યુવાન આ રીતે ગાડી પર બેસીને સ્ટંટ કરતો પકડાય તો પોલીસ તેની સાન ઠેકાણે લાવવામાં જરાય વિલંબ કરતી નથી, તો પછી ABVP ના આ હોદ્દેદારો સામે કેમ કોઈ પગલાં લેવાયા નથી? હવે જોવાનું એ રહે છે કે, જૂનાગઢ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ કે વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધી ન્યાયી કાર્યવાહી કરે છે કે, પછી 'રાજકારણનો ફોન' રણકતાની સાથે જ સમગ્ર મામલાને દબાવી દેવામાં આવશે. સત્તાના નશામાં ચૂર આ હોદ્દેદારોને કાયદાનું ભાન કરાવવું એ હવે પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના PI એફ.બી. ગગનીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ લોકોએ રેલીની મંજૂરી લીધી હતી પરંતુ હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તે મામલે મને કંઈ ખબર નથી, મને તે વીડિયો મોકલો જોયા બાદ આપને જણાવું..
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત ગઈકાલે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે અને તેમાં પણ તે ચાલાકી પૂર્વક ઇલેક્ટ્રિક સ્પીકર ખોલી તેમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ભરી પાર્સલ મારફત રાજકોટ પહોંચાડી અહીંયા રૂપિયા 3થી 4 હજાર કિંમતમાં એક ગ્રામ જથ્થો વેચતો હતો. 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સેય નો ટુ ડ્રગ અંતર્ગત શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરતા પેડલરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અન્વયે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે શહેરના યુનિવર્સિટી રોડ પર જે કે ચોક નજીક ધ્રુવ જોશી નામના શખ્સને અટકાવી તેની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 3.62 લાખનો મુદામાલ કબજે કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવ મૂળ મુંબઈનો રહેવાસી હોવાનું અને છેલ્લા દોઢ બે વર્ષથી રાજકોટ રહેતો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીને સાથે રાખી તેના ઘરે ઝડતી લેતા 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આરોપી પ્રથમ આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો હતો પરંતુ આગવી ઢબે પુછપરછ કરતા આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાનું અને અહીંયા એક ગ્રામ જથ્થો 3થી 4 હજાર કિંમતમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ મુંબઇનો રહેવાસી હોવાથી પોતે મુંબઈના પેડલર પાસેથી આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ખરીદ કરી બાદમાં તેને ઇલેક્ટ્રિક સાઉન્ડ સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરનાર કન્ઝ્યુમરનું લિસ્ટ પણ મળી આવ્યું છે જે અંગે પણ પોલીસ તપાસ કરી તેમને ડી એડીકઝન સેન્ટરમાં મોકલીશું અને જો નહિ સહમત થાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ગાંજો અને હાઈબ્રીડ ગાંજા વચ્ચે નશાની માત્રામાં ખુબ મોટો તફાવત રહેલો હોય છે. સામાન્ય ગાંજાનો નશો કરતા હાઈબ્રીડ ગાંજાનો નશો અતિ તીવ્ર હોય છે જેનું થોડી માત્રામાં સેવન કરવાથી નશેડીઓને MD ડ્રગ્સના નશા જેવી અસર કરતું હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 50,000 છે જયારે હાઈબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 35 લાખ છે.
ચૈત્રી નવરાત્રિનો આરંભ:વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉલ્લાસભેર ઉજવણી
હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે. તેમજ મહારાષ્ટ્રિયન પરિવારોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘરમાં તેમજ ખારીવાવ રોડ પર ઉમંગ અને ઉલ્લાસથી નવ વર્ષની ઉજવણી કરવામાં આવી. પરંપરાગત ગુડી ઉભી કરાઈવડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઉભી કરી તેની પૂજા અર્ચના કરીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. વડોદરામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે. વડોદરા એ સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે, તેના કારણે અહીં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વસતો થયો હતો, જેઓ દ્વારા આજના દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આજે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરીઆજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હોવાની પણ કથા છે. આજના દિવસને હિંદુ ધર્મનું નવું વર્ષ ગણવામાં આવે છે. આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એકમેકને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુડીને વિજય ધ્વજનું પ્રતીક ગણવામાં આવે છેગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેના રેશમી કે સુતરાઉ કાપડ મૂકી પર કડવા લીમડાની ડાળખી, સાકરનો હાર, પુષ્પહાર કરી તેની પર ચાંદીપિત્તળકે તાંબાનો લોટો મુકવામાં આવે છે. પછી હળદર-કંકુથી પૂજા કરવામાં આવે છે. પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે. ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે. શ્રદ્ધાળુઓએ ઘટસ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરીઆજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે માઈ ભક્તો દ્વારા આજથી ઘાટ સ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ માઈ મંદિરો ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. 9 દિવસ નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીની આરાધનામાં લીન બનશે. વર્ષમાં બે નવરાત્રી આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિનું મહત્વ વધુ જોવા મળે છે. વડોદરાના માતાજીના મંદિરોમાં પણ આજથી ભીડ જોવા મળશે.
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
Sonia Gandhi vs Shashi Tharoor on Iran: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતા આ વલણને 'નૈતિક પતન' ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે. સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન અને એક રાષ્ટ્રાધ્યક્ષની હત્યા જેવા ગંભીર મામલે નવી દિલ્હીનું મૌન ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે.
રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીની 1.06 લાખ બહેનો આજે 19 માર્ચે સતત બીજા દિવસે કામથી અળગા રહ્યા છે. આંગણવાડી વર્કરનો માસિક રૂ.10,000 અને હેલ્પરનો રૂ.5,500 થી વધારી અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,400 કરવામાં આવે તેમજ મોબાઇલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈ બહેનોએ જયુબેલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માગણી નહીં સંતોષે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઓનલાઈન કામગીરી બંધ કર્યા બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું- સંગીતા રાવલગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમા સૌરાષ્ટ્ર મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતુ કે, આજે વિરોધ નો બીજો દિવસ છે. અમે 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ કરેલી છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. જેથી અમારે આંગણવાડીઓને તાળા મારીને જયુબેલી ગાર્ડનમાં વિરોધ માટે આવવું પડ્યું છે. 2000 આંગણવાડી બહેનો લડત ચલાવી રહી છે અને 1700 આંગણવાડીઓને તાળા મારવામાં આવ્યા છે. આંગણવાડી વર્કરને 10,000 અને હેલ્પરને 5500 આપવામાં આવે છે. જેથી સરકારે વિચાર કરવો જોઈએ કે આટલી મોંઘવારીમાં આ બહેનો કઈ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. 'અમારી માગણી નહીં સંતોષાય તો ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરીશું'તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોનો પગાર વધારવામાં આવે. આમ છતાં પણ સરકાર દ્વારા આ બહેનો સામે અપીલ કરવામાં આવી છે. આ બહેનો સરકારી મેળવવા અને કાર્યક્રમોમાં પોતાનો સહયોગ આપે છે. જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે જો સરકાર દ્વારા આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં નહીં આવે અને નવા મોબાઈલ આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતા સરકાર અમલવારી નથી કરતી- ધ્રુપલબેન પતરીયાજ્યારે આંગણવાડી હેલ્પર ધ્રુપલબેન પતરીયાએ જણાવ્યુ હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આંગણવાડી હેલ્પર તરીકે કામ કરું છું અને મારો પગાર માત્ર રૂ.5500 છે. હાઇકોર્ટ દ્વારા પગાર વધારવા માટેનો ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં સરકાર દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી. પરિવારમાં સાસુ - સસરા, પુત્ર અને પુત્રી તેમજ પતિ છે. જેઓનું ગુજરાન ચલાવવું આ મોંઘવારીમાં પોષાતું નથી.જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું. સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન 26 જિલ્લાના 106 જેટલા આગેવાનોની બનેલી કારોબારીની બેઠકમાં તા.18, 19 અને 20 માર્ચના રોજ કામગીરીથી અળગા રહેવાનુ એલાન કરાયુ છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના પગારમાં વધારો, ડિજિટલ કામગીરી માટે 2022 માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવા, બાળકોના પોષણ આહાર માટેના દર 2019 માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, AVT અને FRS જેવી એપ્લિકેશન ચાલતી ન હોય બંધ કરવી, બાળકોના પોષણ આહાર તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની 12 જેટલી માગણીઓ મૂકવામાં આવી છે. વધુમાં જણાવ્યા મુજબ, 10 ની માર્ચ 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રીએ હૈયા ધારણા આપી હોવા છતાં એક પણ માગણીઓનો ઉકેલ ન આવતા છેવટે પ્રથમ તબક્કામાં તારીખ 18, 19 અને 20 માર્ચના રોજ રજા રિપોર્ટ ભરીને તેમજ સ્થાનિક અધિકારીઓને આવેદનપત્રો આપીને કામથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે.લાંબા સમયથી ગુજરાતની 1,06,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ 27 વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે. સરકારને જો કુપોષિત બાળકોની ચિંતા જ હોય તો છેક 2018 માં પોષણના આહાર દરો નક્કી કરાયા હતાં તેમાં કોઈ જ વધારો કરાયો નથી તે કરી જ શક્યા હોત અને તેથી બાળકોના પોષણ આહારને નુકસાન પહોંચતું હોવાની રજૂઆત કર્યા છતાં આ બાબતે પણ સરકાર દ્વારા નિર્ણય કરાયો નથી. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પગારમાં 1500નો વધારો કરી અને વર્કરને 4,500અને હેલ્પરને 625નો વધારો કરીને 2250 કર્યા હતા તથા રાજ્ય સરકારે 2022 માં વર્કરને માત્ર રૂપિયા 2250 અને હેલ્પર ને 3000 વધારો કર્યા બાદ કોઈ જ વધારો કર્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારોમાં વધારો કર્યા વિના કામના બોજમાં પણ જંગી વધારો કર્યો છે. વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બની જતા છેવટે પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.
ગોધરા શહેરના પોલન બજાર અને રાની મસ્જિદ વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન અનોખો ભાઈચારો જોવા મળી રહ્યો છે. અહીં હિન્દુ વેપારીઓ માટે મુસ્લિમ બિરાદરો રક્ષક બનીને ઊભા છે, જેઓ તેમની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરે છે. આ દૃશ્ય સામાન્ય રીતે ગોધરા વિશે પ્રવર્તતી છબીથી વિપરીત, એક સકારાત્મક વાસ્તવિકતા દર્શાવે છે. આ વિસ્તારમાં 20થી વધુ લારીઓ અન્ય ધર્મના વેપારીઓની છે. આ વેપારીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે પોતાનો વેપાર કરી શકે છે. મુસ્લિમ ગ્રાહકો કોઈપણ ભેદભાવ વિના તેમની પાસેથી ખરીદી કરે છે, જેનાથી વેપારીઓને સારી કમાણી થાય છે. સ્થાનિક લોકો કે દુકાનદારો દ્વારા આ વેપારીઓ પાસેથી એક પણ રૂપિયો ચાર્જ કે ભાડું લેવામાં આવતું નથી. રાત્રિના સમયે સ્થાનિક મુસ્લિમ યુવાનો સતત દેખરેખ રાખીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.ગોધરાના આ બજારમાં જોવા મળતો આ દૃશ્ય ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા રમેશભાઈ મણીલાલ પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે માંજલપુર પોલીસ સ્ટેશને બે શખસ વિરુદ્ધ કરોડોની જમીન છેતરપિંડીનો ગુનો નોધવામાં આવ્યો છે. આરોપીઓએ મૃત ભાગીદારના નામે ખોટો પાવર ઓફ એટર્ની તૈયાર કરી, નકલી આધારકાર્ડ અને જીવિત ભાગીદારોની નકલી સહીઓનો ઉપયોગ કરીને આખી જમીન વેચી નાખવાનો આક્ષેપ છે. ફરિયાદીએ ભાગીદારીમાં જમીન ખરીદી હતીરમેશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે 1992માં મિત્ર હર્ષદભાઈ બાબુભાઈ ગોરડીયા અને પ્રમોદભાઈ બાબુભાઈ ગોરડીયા સાથે ભાગીદારીમાં વડસર ગામની સીમમાં આવેલી ખેતીની જમીન મૂળ માલિક પાસેથી કાયદેસર રીતે ખરીદી હતી. આ જમીનના રેવન્યુ રેકોર્ડમાં તમામ ત્રણ ભાગીદારોના નામ નોંધાયા હતા. 2024માં ભાગીદાર હર્ષદભાઈ ગોરડીયાનું અવસાન થયું હતું. વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યોત્યારબાદ વારસાઈની પ્રક્રિયા હાથ ધરતાં જાણવા મળ્યું કે, અમદાવાદના હસમુખભાઈ શંકરભાઈ પટેલ અને ભરૂચના નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમારે મળીને જમીનના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આરોપીઓએ વેચનાર તરીકે રમેશભાઈ અને અન્ય ભાગીદારોના નામ દર્શાવીને વેચાણ દસ્તાવેજની નોંધણી કરાવી લીધી હતી. જીવિત ભાગીદારોની નકલી સહીઓ કરી દેવાઈદસ્તાવેજોમાં અસલી માલિકોના ફોટાની જગ્યાએ અન્ય વ્યક્તિના ફોટા ચોંટાડીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ખોટી રીતે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. તેમજ મૃત હર્ષદભાઈના નામે ખોટો પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યો હતો અને જીવિત ભાગીદારોની નકલી સહીઓ પણ કરવામાં આવી હતી. માંજલપુર પોલીસે તપાસ શરૂ કરીઆ સમગ્ર કૌભાંડમાં આશરે 1.22 કરોડની જમીન વેચાણનું દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યું છે અને ચુકવણી ચેક દ્વારા થઈ હોવાનું ખોટું દર્શાવવામાં આવ્યું છે. રમેશભાઈ પટેલની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ કોમર્સ કોલેજનો 56મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો:કુલપતિ નીરજા ગુપ્તા અને મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા
શ્રીરામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજનો 56મો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નીરજા ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 'શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ'ના સ્થાપક મહિપતસિંહ ચૌહાણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. મંડળના પ્રમુખ હેમન્તભાઈ પટેલ અને માનદ સેક્રેટરી જ્યોત્સનાબેન પટેલ પણ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. વી. એમ. વનાર દ્વારા મહેમાનોનો પરિચય કરાવાયો અને પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ભેટથી તેમનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું. ડૉ. કિરીટ વી. સોલંકીએ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, જ્યારે ડૉ. કાજલ બી. રાવ દ્વારા કોલેજની સહઅભ્યાસિક તેમજ ઇત્તર પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો. આ પ્રસંગે પ્રો. ડૉ. નીરજા ગુપ્તાએ માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું. મહિપતસિંહ ચૌહાણે પ્રેરક ઉદબોધન કર્યું. મંડળના પ્રમુખ હેમન્તભાઈ પટેલ અને સેક્રેટરી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે પણ પ્રેરક વક્તવ્ય આપ્યા. સંસ્થા દ્વારા તાજેતરમાં યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં રજૂ કરાયેલા સંશોધનપત્રોને આવરી લેતા ત્રણ ISBN પુસ્તકો તેમજ સંસ્થાના વાર્ષિક સામયિક 'જ્ઞાન મંજુષા'નું વિમોચન કરાયું. અભ્યાસ, રમતગમત, NCC, NSS તેમજ અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ચંદ્રક તેમજ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહમાં વય નિવૃત્તિને કારણે નિવૃત થતા એસોસિએટ પ્રોફેસર ડૉ. આશુતોષ યાજ્ઞિકનું સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું. ડૉ. ઉર્વી જી. અમીન તેમજ ડૉ. સંજય આર. ઠક્કર ઉદ્દબોધક તરીકે કાર્યરત હતા. કાર્યક્રમના અંતે ડૉ. જીગીશા વાગડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓના ખંત, પરિશ્રમ અને સહયોગથી આણંદ કોમર્સ કોલેજનો 56મો વાર્ષિક ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.
આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ માટે વિનર્સ શો - 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ કોલેજ, યુનિવર્સિટી, જિલ્લા અને રાજ્ય સ્તરની NCC, NSS, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ અને યુથ ફેસ્ટિવલ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો હતો. તેમને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ઉષા નર્સિંગ હોમના ડાયરેક્ટર ડૉ. ઉષાબેન ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. જતીન પટેલના માર્ગદર્શન હેઠળ માઇક્રોબાયોલોજી વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતન પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર વિનોદ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
CVM યુનિવર્સિટી સંચાલિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા ‘સેમિકન્ડક્ટર ટેકનોલોજીઝ’ વિષય પર દ્વિદિવસીય સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ અને ડીન અમિત ગણાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિમ્પોઝિયમમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના 500થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. ઉદ્યોગ જગતની અગ્રણી કંપની eInfochips ના નિષ્ણાત ઇજનેરોએ વિદ્યાર્થીઓને વાસ્તવિક પડકારો, VLSI ડિઝાઇન, ચિપ ફેબ્રિકેશન અને AI હાર્ડવેર જેવા આધુનિક વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ડૉ. અમિત ગણાત્રાએ ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા માટે સેમિકન્ડક્ટરના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા પ્રેરણા આપી હતી. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલે કાર્યક્રમની સફળતા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે CVM યુનિવર્સિટી આગામી સમયમાં સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન માટે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ’ની સ્થાપના કરશે. આ કેન્દ્ર વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગો માટે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના નિજ મંદિરને અપવિત્ર કરનારા તત્વો સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. ગઈકાલે તંત્ર દ્વારા 11 શખસ સામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાયા બાદ, આજે 19 માર્ચે વધુ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે પૂજારી પુત્ર અને તેના મિત્રો સહિત કુલ 6 શખસ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાતાર રોડ પરના વેપારીએ ફરિયાદ નોંધાવીગિરનાર અંબાજી મંદિરના ભંડારાના રસોડામાં દારૂ અને નોનવેજની પાર્ટી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સનાતન ધર્મ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૂનાગઢના દાતાર રોડ પર રહેતા અને વેપાર કરતા જાગૃત નાગરિક આવળભાઈ કરશનભાઈ ખટાણાએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં મંદિરના ભંડારાના રસોઈઘરમાં અમુક ઇસમો દારૂનું સેવન કરી, છાકટા બની, બિભત્સ ગાળો બોલી નોનવેજ રાંધીને ખાતા હોવાનું દેખાય છે. આ પણ વાંચો.... 11 લોકો સામે પોલીસ ફરિયાદ, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશેઘટના 22 ઓક્ટોબરની, આરોપીઓની શોધખોળઆ પવિત્ર શક્તિપીઠ ખાતે થયેલા આ અશોભનીય કૃત્યથી કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. પોલીસે ફરિયાદી પાસેથી પેન ડ્રાઈવમાં રહેલા વીડિયો પુરાવા કબજે કર્યા છે. આ ઘટના ગત 22 ઓક્ટોબર, 2025ના રોજ બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 298, 299, 54 અને 302 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે. આજે (19 માર્ચ) આ શખસો સામે ગુનો દાખલ 18 માર્ચે 11 સામે નોંધાઈ હતી FIRનોંધનીય છે કે, ગઈકાલે જ જૂનાગઢ કલેક્ટરના કડક આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા બે અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. ગિરનારની પવિત્રતા ખંડિત કરનારા અને દાનપેટીમાં ગેરરીતિ કરનારા કુલ 11 શખસ સામે ભવનાથ પોલીસે સકંજો કસ્યો હતો. પવિત્ર પરિસરમાં મહેફિલનો મામલોતપાસમાં બહાર આવ્યું હતું કે પૂજારી કિશોરસિંહ ચૌહાણનો પુત્ર અભિષેક તેના મિત્રો સાથે ગિરનારની સીડીઓ ચડીને ઉપર પહોંચ્યો હતો. તેઓએ મંદિરના ગોખ પાસે દારૂ પીધો અને ત્યારબાદ ભંડારામાં નોનવેજની પાર્ટી કરી હતી. આ ઘટનામાં છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને માંસ ઉપર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. આ તમામ લોકો અનઅધિકૃત રીતે મંદિરમાં પ્રવેશ્યા હતા અને 4 દિવસ સુધી ત્યાં રોકાણ કર્યું હતું. દાનપેટીની રકમમાં વિશ્વાસઘાતબીજી ફરિયાદ પૂજારીઓ દ્વારા આચરવામાં આવેલી નાણાકીય અનિયમિતતા અંગે હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું કે, કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે વાસણ રાખી દેતા હતા, જેથી શ્રદ્ધાળુઓનું દાન સીધું દાનપેટીમાં ન જાય અને તેઓ તે રકમ ખિસ્સામાં સેરવી શકે. આ આર્થિક છેતરપિંડીમાં યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ 5 શખસ સામે ગુનો નોંધાયો હતો. વહીવટી તંત્રની લાલ આંખ અને કલેક્ટરના કડક આદેશોજૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટદારને કડક સૂચના આપી છે. 2024થી મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં થયેલી આ બેદરકારી બદલ 12 કર્મચારીની મંદિર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, વહીવટદારની તપાસ કરવામાં આવશે અને જો તેમની નિષ્કાળજી જણાશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. ભવિષ્ય માટે લેવાયેલા મહત્વના નિર્ણયો ગિરનાર જેવા પવિત્ર સ્થળની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે પ્રશાસન હવે આરપારના મૂડમાં છે. પોલીસ હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ સમાચાર પણ વાંચો… ગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
બાકરોલના 13 મકાનો સીલ:બાકી વેરાની વસૂલાત માટે મનપાની કાર્યવાહી, ₹5.37 લાખ વસૂલાયા
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકરોલ વિસ્તારમાં કાર્યવાહી કરીને 13 મકાનો સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹5,37,990નો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની રિકવરી ટીમે બાકરોલની વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી વેરો ન ભરનારા મકાન માલિકો સામે કાર્યવાહી કરી હતી. કુલ ₹2,35,988નો વેરો બાકી હોવાથી 13 બંધ મકાનોને સ્થળ પર જ સીલ કરી દેવાયા હતા. સીલ કરવાની કાર્યવાહી ઉપરાંત, અન્ય મિલકત ધારકો પાસેથી ₹3,02,002ની વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કમિશનરની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી. મનપાના ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરવો ફરજિયાત છે. નાગરિકોની સુવિધા માટે, માર્ચ મહિનામાં આવતી તમામ જાહેર રજાઓ અને રવિવારે પણ મહાનગરપાલિકાની કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. 19મી માર્ચ, ગુરુવારે જાહેર રજા હોવા છતાં, મનપા વિસ્તારની તમામ કચેરીઓ સવારે 11:00 થી સાંજે 4:00 કલાક સુધી કાર્યરત રહેશે. તંત્રએ નગરજનોને અપીલ કરી છે કે મિલકત સીલ થવા જેવી કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો જમા કરાવી દે.
પાટણ પોલીસે કુખ્યાત ભાવેશ બળદેવભાઈ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયા અને તેની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. રાધનપુર Dysp પરેશ રેણુકાએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. Dysp પરેશ રેણુકાએ માહિતી આપી કે ભાવેશ જીલીયાનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. ગુજરાત પોલીસમાં તેના વિરુદ્ધ કુલ 20 ગુના નોંધાયેલા છે. માત્ર પાટણ જિલ્લામાં જ તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, IPC 323 (મારામારી) અને ગુજસીટોક (GUJCTOC) સહિતના 10 ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને ભાવેશ જીલીયા કે તેની સિન્ડિકેટના સભ્યો અથવા અન્ય ગુંડા તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય, તો તેઓ કોઈપણ ડર કે ધાકધમકી વિના પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) નો સંપર્ક કરી શકે છે. ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અસામાજિક તત્વો અને સિન્ડિકેટના સભ્યો સામે કોઈ પણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વિના કામ કરવામાં આવશે અને આવા કોઈ પણ ઈસમને છોડવામાં આવશે નહીં. આ સાથે જ, Dysp પરેશ રેણુકાએ સાયબર સુરક્ષા અંગે ચેતવણી આપતા જણાવ્યું કે પોલીસની સાયબર સર્વેલન્સ ટીમને ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાના સંદર્ભમાં બે જૂથો વચ્ચે વૈમનસ્ય અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ન્યાય સંહિતા અનુસાર, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવી કે વૈમનસ્ય ફેલાવવું ગુનો બને છે. હાલમાં સાયબર ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે અને જો આવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરના દહેગામ તાલુકાના પશુપાલકો અને ઉત્તમ-મધુર ડેરી વચ્ચે ચાલી રહેલો વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. પશુપાલક સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા દહેગામ બંધના એલાનને પગલે આજે 19 માર્ચે વહેલી સવારથી વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. જોકે, બંધના એલાન છતાં ઉત્તમ ડેરીની ગાડી દૂધ લેવા પહોંચતા પશુપાલકોએ દૂધ ઢોળી નાખી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પશુપાલકોને સમગ્ર તાલુકામાંથી અભૂતપૂર્વ સમર્થનદહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર મધુર ડેરી તેમનું દૂધ સ્વીકારે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. દહેગામ તાલુકાના પશુપાલકો અમદાવાદની ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ આપવા માટે માંગણી કરી રહ્યા છે. દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી દૂધની લડાઈ હવે લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અગાઉ પશુપાલકો દ્વારા આપવામાં આવેલા વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા જેવા કાર્યક્રમોને પોલીસે નિષ્ફળ બનાવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે ગુરુવારે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને સમગ્ર તાલુકામાંથી અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. પશુપાલકોએ ઉત્તમ ડેરીની ગાડીને રસ્તામાં જ આંતરી લીધીઆજે વહેલી સવારે જ્યારે સમગ્ર દહેગામ બંધ પાળવાની તૈયારીમાં હતું, ત્યારે ઉત્તમ ડેરીની ગાડી ગામડાઓમાંથી દૂધ એકત્ર કરવા માટે આવી પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ પશુપાલકોએ આ ગાડીને રસ્તામાં જ આંતરી લીધી હતી. આંદોલનના સમર્થનમાં અને ડેરીના વલણ સામે વિરોધ નોંધાવવા પશુપાલકોએ ગાડીમાં ભરેલું દૂધ રસ્તા પર ઢોળી દઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 25 માર્ચ બાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકીનોંધનીય છે કે, દહેગામના આ આંદોલનને સ્થાનિક વેપારી એસોસિએશન અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ પણ જાહેર ટેકો આપ્યો છે. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખીને પશુપાલકોની માગણીઓને સમર્થન આપ્યું છે. સંકલન સમિતિના જણાવ્યા અનુસાર, પશુપાલકો હવે સહેજ પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. જો આગામી 25 માર્ચ સુધીમાં મધુર ડેરીમાં દૂધ ભરવાની માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવી હાઈવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસનું સધન પેટ્રોલિંગબીજી તરફ દહેગામ સજ્જડ બંઘ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ ચાલુ રાખી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દેવાતા આ વિવાદ વકર્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, તેમને પરાણે ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓ પર થઈ રહેલા જીવલેણ એસિડ હુમલાઓએ માનવતાને શરમાવી દીધી છે. ટૂંકા ગાળામાં સતત બની રહેલી આ ઘટનાઓને પગલે સમગ્ર નગરમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અમાનવીય કૃત્યો આચરનારા તત્વોને પકડવા અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નગરજનો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. 3 ગાયો અને 1 આખલા પર એસિડ ફેંકવાની ઘટનાશહેરમાં ગત તારીખ 7 માર્ચના રોજ 3 ગાયો અને 1 આખલા પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી હતી. આ સિલસિલો અહીં અટક્યો નથી, ત્યારબાદ 13, 15 અને 17 માર્ચના રોજ પણ સતત પશુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓ દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી. પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની માગ સ્થાનિકોએ નગરપાલિકા સમક્ષ માગ કરી છે કે, એસિડ એટેકમાં ગંભીર રીતે દાઝેલા પશુઓને તાત્કાલિક સરકારી પશુ ચિકિત્સક દ્વારા સઘન સારવાર પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓ આવા હુમલાઓનો સરળ શિકાર બની રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઝુંબેશ હાથ ધરી તમામ પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની માગ કરવામાં આવી રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સૌથી ગંભીર બાબત એ છે કે, ગુનેગારોને પકડવા માટે જે CCTV કેમેરા મહત્વના સાબિત થઈ શકે તેમ છે. તે નગરપાલિકા હસ્તકના અનેક કેમેરા હાલ બંધ હાલતમાં છે. નાગરિકોએ પાયાની માંગણી કરી છે કે શહેરના મુખ્ય માર્ગો અને ચોક પર લાગેલા તમામ CCTV કેમેરા તાત્કાલિક રિપેર કરી કાર્યરત કરવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. જો નગરપાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર અને સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમરાઇવાડીમાંથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળીક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા. નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતાપોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. સુરતમાં રેડ કરી પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરીપોલીસે આરોપીઓની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે આ ચલણી નોટ સુરતના વરાછા ખાતે છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની એક ટીમ વરાછા પહોચી ગઈ છે અને સ્થાનિક પોલીસની મદદ લઈને જ્યા નોટ છાપી રહ્યા હતા ત્યારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ચલણી નોટ પ્રિન્ટ કરવાનું મશીન સહિતની સામગ્રીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યુ છે. અસલી 500 આપો અને નકલી 1500 લઈ જાવઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી. દેશભરમાં ફેક કરન્સી પહોંચાડવા એજન્ટોની ફૌજ બનાવવાની તૈયારીઆરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂઆત જ કરી હતી અને તેવામાં તે સંકજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પંચનામુ કરવામાં પરસેવો છૂટ્યોક્રાઇમ બ્રાંચે 500ના દરની 40 હજારથી વધુ નોટ કબજે કરી લીધી છે જેનુ પંચનામું મોડી રાતથી ચાલુ છે. 40 હજાર નોટના સીરીયલ નંબર લખવામાં અને ત્યારબાદ તેનુ પંચનામુ કરવામાં ક્રાઈમ બ્રાંચનો પરસેવો છૂટી ગયો છે. ક્રાઇમ બ્રાંચની મોટાભાગની ટીમો હાલ આ કામગીરી કરવા માટે લાગી ગઈ છે.
આજે 19 માર્ચને ગુરૂવારે ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવવર્ષના પાવન અવસર પર ડાયમંડ સિટી સુરતના મંદિરોમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં 'જય માતાજી'ના નાદ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવવર્ષની શુભ શરૂઆત કરવા માટે ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આતુર દેખાઈ રહ્યા છે. અટવાલાઇન્સ અંબિકા નિકેતન અને જૂના અંબાજીમાં વહેલી સવારથી ભીડસુરતના જાણીતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારના 4 વાગ્યાથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું. માત્ર અંબિકા નિકેતન જ નહીં, પરંતુ ભાગળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જૂના અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવાને અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેને પગલે સમગ્ર સુરત શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. માતાજીનો અલૌકિક શૃંગાર જોઈ ભક્તો ભાવવિભોર થયાચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે મંદિરોમાં માતાજીનો અદભુત અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં માતાજીને કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવ્યા છે. માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. માતાજીના મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ અને દિવ્યતા પ્રસરી ગઈ છે. હજારો કિલો ફૂલો અને લાઈટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યુંનવરાત્રીના પર્વને વધુ ભવ્ય બનાવવા માટે અંબિકા નિકેતન મંદિર ખાતે વિશેષ સજાવટ કરવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા હજારો કિલો દેશી અને વિદેશી ફૂલોનો ઉપયોગ કરીને મંદિરના ગર્ભગૃહ અને બહારના પરિસરને શણગારવામાં આવ્યું છે. આ સાથે જ રાત્રિના સમયે મંદિર ઝળહળી ઉઠે તે માટે આકર્ષક રોશની (લાઇટિંગ) પણ કરવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગરમી સામે લડવા મંદિર ટ્રસ્ટ દ્વારા 'વોટર મિસ્ટ' સિસ્ટમહાલ સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ભક્તોને હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા શ્રદ્ધાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિરની બહાર પાણીના ફુવારા (વોટર મિસ્ટ) અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે વૃદ્ધો અને બાળકોને ગરમીનો અહેસાસ ઓછો થાય છે અને તેઓ સરળતાથી દર્શન કરી શકે છે. મંદિરોમાં હવન અને અનુષ્ઠાનોનો પ્રારંભચૈત્રી નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. આ નવ દિવસો દરમિયાન સુરતના વિવિધ મંદિરોમાં વિશેષ હવન, ચંડીપાઠ અને અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ સામૂહિક નવરાત્રી પૂજન અને અર્ચન પણ થઈ રહ્યા છે. નવવર્ષના પ્રથમ દિવસથી જ આ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સુરતની આધ્યાત્મિક ગરિમામાં વધારો થયો છે. પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્તભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિરની બહાર અને અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્વયંસેવકો પણ ખડેપગે સેવા આપી રહ્યા છે. અંબિકા નિકેતન અને ભાગળ અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.
નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલા ઐતિહાસિક આશાપુરી મંદિરમાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિર ભક્તોની આશા પૂર્ણ કરનારું માનવામાં આવે છે. ગાયકવાડી શાસનકાળ દરમિયાન નિર્મિત આશરે 385 વર્ષ જૂનું આ આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતા આશાપુરી સાથે ગણેશજી અને માર્કન્ડેય ઋષિની મૂર્તિઓ પણ બિરાજમાન છે, જે તેને ગુજરાતના અનોખા મંદિરોમાંનું એક બનાવે છે. આસો નવરાત્રિ દરમિયાન પણ આ મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત ઘેરૈયા નૃત્ય અહીંની પરંપરાનો એક ભાગ છે, જેમાં પુરુષો સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે. આશાપુરી મંદિરના મહત્ત્વ પાછળ એક લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે, નવસારીમાં ગાયકવાડી રાજ હતું ત્યારે એક સુબાને સપનામાં માતાજી આવ્યા હતા અને દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાનું જણાવ્યું હતું. સુબાએ જમીન ખોદાવતા માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, જેની સ્થાપના તેમણે એક નાની દેરી બનાવીને કરી હતી. આ સ્થાપના બાદ સુબાની માનતા પ્રમાણે તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. એકવાર સુબા સુરત પોતાની પત્નીને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સુરત પહોંચવું અશક્ય બનતા સુબાએ માતાજીને પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે પૂરના પાણી ઓસરી ગયા. ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી માતાજીનું નામ 'આશાપુરી' પ્રચલિત બન્યું. આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટી ઘનશ્યામ પટેલ જણાવે છે કે આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક. આ મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરનું 2004 માં નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલું, પણ માતાજીની ચિઠ્ઠી નાખવા છતાં પણ માતાજીએ ગર્ભગૃહમાં બદલવાની ના પાડેલી, એટલે ગર્ભગૃહ એ જ પ્રમાણે 400 વર્ષ જૂનું છે એ જ પ્રમાણેનું છે. આ મંદિરની અંદર દર વર્ષે ગરીબ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને 20 થી 25 લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે. એક જ મંદિર એવું છે કે જે આ સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે. દર વર્ષે મે મહિનામાં 1 લાખ રૂપિયા જેવી સહાયની નોટબુકો આપવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં આઠમના દિવસે ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે. આજુબાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, બીલીમોરા, બારડોલી, વાપી થી બધા માતાજીના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આવવાનું એક જ કારણ છે કે માતાજી દરેકની આશા પૂરી કરે છે, એટલે જ આ મંદિરનું નામ પણ આશાપુરી પાડવામાં આવે છે.ચૈત્ર નવરાત્રીમાં આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મોટો ઉત્સવ ગણાય છે. આખા ભારતભરમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માતાજીના ગરબા પણ અહીંયા રાખવામાં આવે છે. બ્લડ કેમ્પનું પણ આયોજન આઠમના દિવસે કરવામાં આવે છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા પધારે છે. હેત્વી દવે જણાવે છે કે આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે. હું એમ તો દરરોજ મારા ફેમિલી સાથે અહીં દર્શન કરવા આવું છું, પણ આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે તો એક અલગ જ અનુભવ થાય છે અહીંયા આવીને.માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે એવી મારી આશા છે.
ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આજે ગુરુવાર, 19 માર્ચથી થયો છે. આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર પર શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક મનાય છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન જેવા કાર્યો માટે આ નવરાત્રિ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે. મંત્ર-તંત્રના પ્રયોગ અને બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે પણ આ સમય શ્રેષ્ઠ મનાય છે. ચોટીલા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ ધામ, જ્યાં મા ચામુંડા બિરાજમાન છે, તે 64 જોગણી પૈકીનો એક અવતાર મનાય છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડા ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે છે તેવી માન્યતા છે. રોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા અહીં આવે છે, અને ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં ભક્તોની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. ચોટીલાનો ઇતિહાસ ઘણાં વર્ષો જૂનો છે. પૌરાણિક કથા અનુસાર, હજારો વર્ષો પહેલાં પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો, જેનાથી પ્રજા અને ઋષિ-મુનિઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. આ રાક્ષસોથી બચવા માટે ઋષિમુનિઓએ માતાજીની આરાધના કરી અને યજ્ઞ દ્વારા માતાજીનું આહ્વાન કર્યું. હવન કુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું. આ આદ્યશક્તિએ અલગ અલગ બે સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયાં, તેથી અહીં માતાજીનાં બે મુખ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન, ગુજરાતભરના અલગ અલગ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીનાં દર્શને આવતા હોય છે. નવરાત્રિના આઠ દિવસ પહેલાંથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે અને સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઊભરાઈ જાય છે. લગભગ દર એક કિલોમીટરના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતાં ગામો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે. રોડ પરના ખેતર-વાડીના માલિકો-ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ અને દિવસ દરમિયાન આરામ માટે યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડે છે.
કચ્છના નાના રણમાં આવેલા ખારાઘોડા અને ઝીંઝુવાડા વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાથી દરેક અગરિયા પરિવારને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દર વર્ષે નાના રણમાં લગભગ 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાને કારણે રણ સૂકું હતું. આથી, સેંકડો અગરિયા પરિવારો નવરાત્રી પહેલા જ રણમાં મીઠું પકવવા પહોંચી ગયા હતા. તેઓએ સોલાર પેનલો ફીટ કરીને કામ શરૂ કર્યું હતું અને તેમની મીઠું પકવવાની સિઝન પૂર્ણતાના આરે હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વાવાઝોડું, પવન અને વરસાદ ખાબક્યો હતો. આનાથી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાણી ખેંચવા માટેની સોલાર પેનલો ઉડીને તૂટી ગઈ હતી. સોલાર પંપ અને કંટ્રોલરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પણ મોટું નુકસાન થયું હતું. રણમાં અગરિયાઓ માટે સોલાર પેનલ ફીટ કરવાનું કામ કરતા લોકોએ જણાવ્યું કે, જોરદાર પવન અને વાવાઝોડા સાથેના વરસાદથી 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી, જેના કારણે અગરિયાઓને મોટું નુકસાન થયું છે. મીઠું પકવતા સતીષભાઈ સાવડીયાએ જણાવ્યું કે, વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મીઠામાં નુકસાન થવા ઉપરાંત સોલાર પેનલો પણ ફંગોળાઈ ગઈ છે.
આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ કોલેજની નેશનલ ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા વિદ્યાર્થીની ભવન (ગર્લ્સ હોસ્ટેલ) ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃત કરવાનો હતો. નેશનલ ટાસ્ક ફોર્સના મહિલા સભ્યો ડૉ. તનુશ્રી બસાક, ડૉ. અપેક્ષા પાટડીયા અને ડૉ. પૂર્વા દેસાઈએ વિદ્યાર્થીનીઓને આ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ અને NTFના મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નોડલ ઓફિસર ડૉ. જીતેન ટેલર અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જતીન ડી. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે એક કમનસીબ ઘટના સામે આવી છે, જેમાં શોર્ટ સર્કિટના કારણે એક ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ચોટીયા ગામના ખેડૂત કિરણભાઈ ચૌહાણના ખેતરમાં તૈયાર કરીને રાખેલો ઘઉંનો પાક વીજ વાયરોમાં થયેલા ઘર્ષણને કારણે લાગેલી આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. ભારે પવનને કારણે વીજ વાયરો ભેગા થઈ ગયાંમળતી માહિતી મુજબ, ખેડૂત કિરણભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંની લણણી કર્યા બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં એક સાઈડ ભેગો કરીને રાખવામાં આવ્યો હતો. જોકે આ ખેતર ઉપરથી પસાર થતા વીજ કંપનીના બે વાયરો અવારનવાર એકબીજા સાથે અથડાતા હોવાથી તણખા ઝરતા હતા. આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે આ વીજ વાયરો ફરી એકબીજા સાથે ટકરાયા હતા, જેનાથી થયેલા શોર્ટ સર્કિટના તણખા નીચે પડેલા ઘઉંના પાક પર પડ્યા હતા. અંદાજે 65 મણ ઘઉં બળીને ખાખઆગ લાગવાની જાણ થતા જ ખેડૂત પરિવાર ખેતર પર દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. તૈયાર થયેલો તમામ પાક આગથી લપેટાઈને રાખ થઈ ગયો હતો. ખેડૂત કિરણભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 65 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થાય છે, જે ચાલુ વર્ષે પણ તૈયાર હતું. આ આગને કારણે ખેડૂતને આશરે 60થી 70 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે વળતરની માગ કરીઆ ઘટના અંગે ગામના સરપંચ દ્વારા GEBને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. એક તરફ ખેતીમાં મોંઘા બિયારણ અને મહેનત બાદ પાક તૈયાર થયો હતો. ત્યારે આ ઘટનાને કારણે ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હવે ખેડૂત સરકાર અને તંત્ર પાસે યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આજે વહેલી સવારે HDFC બેંકના ATM કેબિનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસર કાર્યવાહીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને ATMમાં રહેલી રોકડ સુરક્ષિત રહી હતી. મળતી માહિતી મુજબ, વહેલી સવારે ATMમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખું ATM કેબિન તેની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ વીજ કંપની અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વીજ કંપનીની ટીમે તરત જ વીજ પુરવઠો બંધ કર્યો હતો. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પણ સ્થળ પર પહોંચી આગ સંપૂર્ણપણે બુઝાવી હતી. આ ઘટનામાં ATM મશીન સંપૂર્ણપણે બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે મશીનમાં રહેલી રોકડ રકમ સુરક્ષિત છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતા બેંકના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે પણ મામલો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાયા:શામળાજીના સુનોખ-વાશેરા કંપામાં અસર, ખેડૂતો ચિંતિત
અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શામળાજી, સુનોખ અને વાશેરા કંપા વિસ્તારમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયા હતા, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. હવામાન વિભાગે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી હતી. આ બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે તેમનો ઉનાળુ પાક તૈયાર થઈને ખેતરોમાં પડ્યો છે. સામાન્ય રીતે, ભર ઉનાળે થતા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના વાવેતર નિષ્ફળ જતા હોય છે. આ સ્થિતિમાં, તૈયાર પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
શહેરના રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે રહેતી 27 વર્ષીય વકીલ યુવતીની સગાઈ કરવામાં આવતા પૂર્વ પ્રેમીએ ફોન ઉપર યુવતીના માતા-પિતાને બિભત્સ શબ્દો ભાંડ્યા હતા. આ સાથે ફોટા જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી સગાઈ તોડાવી નાખી હતી. અવારનવાર અલગ-અલગ ફોન નંબરથી ધમકી આપી અને ‘જો મારી સાથે લગ્ન નહીં કરાવો તો પરિવારને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. લગ્ન બાબતે બોલાચાલી થતા પ્રેમ સંબંધ તૂટ્યોઆ અંગેની વિગત એવી છે કે, હાથીજણ સર્કલ પાસે આવેલા એક ફ્લેટમાં 27 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને મેટ્રો કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરે છે. 2021માં વિદેશ જવા માટે આઈએલટીએસના ક્લાસીસમાં જતી હતી, ત્યારે પ્રિયાંશુ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વધુ સંપર્ક આવતા તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, બે વર્ષ જેટલો ચાલ્યો હતો. ત્યારબાદ 2025ના જૂન મહિનામાં લગ્ન બાબતે બોલાચાલી થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. પ્રિયાંશુના ફોન ઉપાડવાના અને વાત કરવાનું બંધ કરી દેતા તેની માતાએ યુવતીના માતા-પિતાને ફોન કરી કહ્યું હતું કે, તમારી દીકરી અને મારો દીકરો પ્રેમ સંબંધમાં છે અને મારો દીકરો સારો નથી ને કોઈ કામ ધંધો કરતો નથી. તેમજ દારૂની લતે ચડેલ છે. યુવતીના મંગેતરને ફોન કરી સગાઈ તોડાવી નાખીડિસેમ્બર, 2025માં યુવતીની સગાઈ થઈ હતી, જેથી પ્રિયાંશુએ કહ્યું હતું કે, તમે કેમ આવું કર્યું? તેની સગાઈ મને પૂછ્યા વગર કેમ કરી? તેમ કહી જોર જોરથી બોલવા લાગ્યો હતો. તમારી છોકરી સારી નથી, જ્યાં જશે ત્યાં હું એને છોડીશ નહીં અને તમારા દીકરાને ઉઠાવી લઈશ આ પ્રમાણે માનસિક ત્રાસ આપ્યો હતો. હું તમારા ઘરે આવીશ અને તમારી દીકરીના ફોટા મારી પાસે છે, તેને જાહેર કરી દઈશ તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. જે યુવક સાથે યુવતીની સગાઈ થઈ હતી, તેને યુવતી વિશે ખોટી વાતો કરી અને બદનામી કરી સગાઈ તોડાવી નાખી હતી. ધમકી આપતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવીઆટલેથી ન અટકી પ્રિયાશુએ અલગ-અલગ નંબર પરથી યુવતીના માતા-પિતાને ફોન કરીને ‘જો તમે મારી સાથે તેના લગ્ન નહીં કરાવો તો તમારા પરિવારને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. આ બાબતે યુવતીના માતાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ પાસે મુખ્ય રોડ પર ગત(18 માર્ચ) મોડી રાત્રે એક મહિલાએ ભારે હોબાળો મચાવીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દેતા મહિલાએ જાહેર રોડ પર તમાશો કર્યો હતો. બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે જ્યારે મહિલાને પકડી ત્યારે મહિલા બોલતી હતી કે, મેં કહ્યું ને કે તમે સાઇડમાં થઈ જાઓ. હું મારો જીવ આપી દઈશ, મને રોડ પર ફેંકી દીધી છે. ઘટનાને પગલે રાવપુરા પોલીસ દોડી ગઈ હતી અને મહિલાની અટકાયત કરી વરણામા પોલીસને સોંપી દીધી હતી. વરણામા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ‘મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા’મહિલા કહે છે કે, મારા જીવની કિંમત પોલીસ ચૂકવશે, મારા શરીરથી હાથ દૂર રાખજો. મને મારી નાખો. વરદીનો ઘમંડ ન બતાવશો. મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા. મારાથી દૂર રહો. મહિલા પોલીસકર્મી કહે છે કે, તમે સાઇડમાં આવી જાઓ. મહિલા પોલીસકર્મી તેને ખેંચીને લઈ જાય છે. બોયફ્રેન્ડે મહિલાને રિક્ષામાંથી નીચે ફેંકી દીધી હતીગઇકાલે મહિલા કેવડિયાથી તેના બોયફ્રેન્ડ સાથે નીકળી હતી, જ્યારે વરણામા પોલીસ સ્ટેશનની હદ આવી ત્યારે તેના બોયફ્રેન્ડે તેને રિક્ષામાંથી ધક્કો મારી ઉતારી દેતા મહિલા નીચે પડી ગઈ હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, એટલે 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો એટલે હોસ્પિટલ તરફથી વરણામા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ રોડ પર તમાશો કર્યોસયાજી હોસ્પિટલની બહાર મહિલાએ ધમાલ કરી હતી. મહિલાએ જાહેર રસ્તા પર જોરદાર હંગામો કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. પોલીસે લાંબી સમજાવટ અને પ્રયાસો બાદ મહિલાને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન ઘટનાસ્થળે ભારે ભીડ જામી ગઈ હતી અને થોડા સમય માટે મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાએ અંદાજિત એક કલાક અમારી સાથે મગજમારી કરી: પોલીસકર્મીપોલીસકર્મી કનુભાઈએ જણાવ્યું હતું કે, 112 નંબર પરથી અમને કોલ આવ્યો હતો કે તમે પંચમુખી હનુમાન મંદિર પાસે જાઓ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશની એક મહિલા ત્યાં હાજર હતી, તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેવડિયામાં રહે છે. નશો કરેલી હાલતમાં હોય એવું દેખાય છે. મહિલાએ લગભગ એક કલાક અમારી સાથે મગજમારી કરી હતી. ‘મહિલાએ અમારી સાથે હાથાપાઈ કરી’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા એવું કહેતા હતા કે હું કેવડિયાથી આવી છું. જોકે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તે સારવાર માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણસર આવ્યા હતા. અમે જ્યારે તેમને પોલીસ સ્ટેશન ચાલવાનું કહ્યું ત્યારે તેમણે અમારી સાથે હાથાપાઈ કરી હતી. આખો રસ્તો જામ કરી દીધો હતો અને ટ્રાફિકમાં પણ અડચણ ઊભી કરી હતી. પછી લોકોએ અમને મદદ કરી અને પોલીસની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.
માર્ચ એન્ડિંગ નજીક આવતા જ PGVCL દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. વિજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરાઈ છે. ડીસ કનેક્શન ડ્રાઈવમાં 52802 ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવ્યા છે અને તેના થકી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડને રૂ.101.17 કરોડની આવક થઈ છે. જેમાં 4 માસથી વધુ સમયથી તેમજ રૂ.5000 થી વધુ વિજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે હજુ 2.23 લાખ ગ્રાહકો એવા છે કે જેઓ વિજ બીલ ભરતા નથી. જેમની પાસેથી રૂ.98.50 કરોડની વસૂલાત બાકી છે. જેથી હવે ચેકીંગ ડ્રાઇવ થકી તેઓ પર સકંજો કસવામાં આવશે. PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષના અંતે ડેબિટ એરિયસ ઓછું કરવા માટે કંપની દ્વારા વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીએ થયેલી પ્રથમ ડ્રાઇવમાં 30857 ગ્રાહકોના વિજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.86.94 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 17 માર્ચના મેગા ડીસ કનેક્શન પાર્ટ 2 માં 21945 વીજ કનેક્શન કટ થયા હતા અને તેમાં રૂ.41.48 કરોડની આવક થઈ છે. જે પહેલા રૂ.140 કરોડ જેટલું લેણું બાકી હતુ. જોકે રૂ.42 કરોડની રિકવરી થતા રૂ.98 કરોડની ડેબિટ એરિયર્સ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છમાંથી PGVCL ની ઓછી ડેબિટ એરિયર્સ બાકી રહે તે માટે રજાના દિવસોમાં પણ વિજ બિલ ન ભરનારાને ત્યાંથી વસૂલાતની કામગીરી ચાલુ રહેશે. અગર હકો અને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાનું બાકી વિજ બિલ ઓનલાઇન પણ ભરી શકે છે. ઉદ્યોગકારો અને ખાનગી રેસીડેન્સ ધારકોને ત્યાંથી બાકી વિજ બિલની વસૂલાત માટે ચેકિંગ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓના બાકી લેણા બાબતે જણાવ્યું હતું કે, તેઓને સરકાર તરફથી ગ્રાન્ટ મળતાની સાથે જ તેમના દ્વારા વીજ બિલ ભરપાઈ કરી દેવામાં આવતુ હોય છે. જેમાં નગરપાલિકાઓના વિજ બિલ બાકી છે. જોકે તેમાં સાવરકુંડલા નગર પાલિકા તરફથી ચૂકવણી થઈ ચૂકી છે. ગોંડલ નગરપાલિકાના વીજ બિલની રકમ પણ મળવાની છે. જોકે આ નગરપાલિકાઓનો હેતુ લોકોની સેવાનો હોય છે. તેમણે જણાવ્યું કે, આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં 4 મહિનાથી વધુ સમયથી જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યું ન હોય અને રૂ.5000 થી વધુનું વીજ બિલ બાકી હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી ડીસ કનેક્શન ડ્રાઈવ કરવામાં આવી હતી. હજુ 50000 જેટલા ગ્રાહકો એવા છે કે જેમના દ્વારા વિજ બિલ ભરવામાં આવ્યુ નથી. જેથી તેઓની પાસેથી નાણાની વસૂલાત બાકી છે. જોકે PGVCL દ્વારા આ જ રીતે ડ્રાઇવ રાખી માસ SMS દ્વારા ગ્રાહકોને વિજ બિલ ભરવા સૂચના આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર - કચ્છના કયા સર્કલમાં કેટલી વસૂલાત? સર્કલ - વિજ કનેક્શન કપાયા - વસૂલાત (લાખમાં)રાજકોટ શહેર - 2807 - 1900.98રાજકોટ ગ્રામ્ય - 5268 - 1566.32જામનગર - 10271 - 1084.68સુરેન્દ્રનગર - 1341 - 783.16મોરબી - 4453 - 739.13ભાવનગર - 7792 - 733.35ભુજ - 2513 - 689.95અંજાર - 2491 - 626.48પોરબંદર - 4881 - 573.46 અમરેલી - 4226 - 558.96જૂનાગઢ - 4565 - 518.62બોટાદ - 2194 - 342.28કુલ - 52802 - 10117.36 કેટલા ગ્રાહકોની કેટલી વસૂલાત બાકી? રાજકોટ શહેર - 17996 - 411.80રાજકોટ ગ્રામ્ય - 18840 - 158.68જામનગર - 34365 - 1539.13સુરેન્દ્રનગર - 28081 - 1827.27મોરબી - 15883 - 500.95ભાવનગર - 10045 - 493.97કચ્છ - 40639 - 2179.83અંજાર - 22569 - 971.33પોરબંદર - 10665 - 428.87અમરેલી - 10063 - 666.05જૂનાગઢ - 8584 - 299.78બોટાદ - 6071 - 372.70કુલ - 2,23,801 - 9850.34
હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનો અત્યંત પવિત્ર અને વિશેષ ગણાય છે. ભારતીય કેલેન્ડર અનુસાર, ચૈત્ર એ વર્ષનો પ્રથમ મહિનો છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષ એટલે કે 'વિક્રમ સંવત'નો પ્રારંભ થાય છે. આ વર્ષે 19 માર્ચ 2026થી વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ છે, જેને દેશના વિવિધ ભાગોમાં ગુડી પડવો, યુગાદિ કે વર્ષ પ્રતિપદા તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગુડી પડવો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારનો સૌથી મોટો તહેવાર છે. 'ગુડી'નો અર્થ 'વિજય પતાકા' થાય છે અને 'પડવો' એટલે ચંદ્રના પક્ષનો પ્રથમ દિવસ. મરાઠી સમુદાય આ દિવસે પોતાના ઘરની બહાર વાંસની લાકડી પર રેશમી વસ્ત્ર અને ઊંધો કળશ રાખી 'ગુડી' ઉભી કરે છે. 19 માર્ચથી જ ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. ભારતની વિવિધતામાં એકતાના દર્શન આ પર્વમાં પણ થાય છે. આ દિવસે દેશના અલગ-અલગ ભાગોમાં તેને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાદી, ગોવા અને કેરળમાં સંવત્સર પડવો, કાશ્મીરમાં નવરેહ, મણિપુરમાં સજિબૂ નોંગમા પાનબા અને ઉત્તર ભારતમાં ચૈત્ર નવરાત્રી. આ પર્વ પાછળ અનેક પૌરાણિક અને ઐતિહાસિક માન્યતાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું, તેથી તેને 'બ્રહ્મધ્વજ' તરીકે પણ પૂજવામાં આવે છે. મરાઠી સમુદાય આ દિવસને છત્રપતિ શિવાજી મહારાજના વિજય ઉત્સવ તરીકે ઉજવે છે. આ જ દિવસે મહાન ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની ગણતરી કરીને હિન્દુ પંચાંગની રચના કરી હતી. કેટલીક માન્યતાઓ મુજબ, રાવણ પર વિજય મેળવી પ્રભુ શ્રીરામ આ દિવસે અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં વિજય પતાકા લહેરાવવામાં આવે છે. આ દિવસે ઘરની સાફ-સફાઈ કરી મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવે છે. વાંસની લાકડી પર ચાંદી, તાંબા કે પિત્તળનો કળશ ઊંધો મૂકી, તેને કેસરી વસ્ત્ર, લીમડાના પાન અને ફૂલોથી શણગારી ઘરના ઉંચા સ્થાન પર લગાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘર પર ગુડી લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સંતોષ સૈદાણે જણાવે છે કે આજે ચૈત્ર નવરાત્રીની શરૂઆત છે અને એની સાથે સાથે આજે ગુડી પડવાનો તહેવાર છે, જે અમારા મહારાષ્ટ્રીયન સમાજ, ઓલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા મરાઠી સમાજ જે ગુડી પડવાનો તહેવાર છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. આજના દિવસે પોતાના ઘરની બહાર એક લાકડી હોય છે, એ લાકડીની ઉપર તાંબાનો લોટો હોય છે અને એની સાથે સાથે લીમડાના પત્તા અને પતાશાનો હાર હોય છે. એનાથી જે લીમડો હોય છે, એની અંદર કડવાશ હોય છે, એ કડવાશના લીધે જે આપણા ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા હોય છે એ જતી રહે છે અને પતાશા જે છે એના લીધે પોઝિટિવિટી આપણા ઘરમાં આવે છે. આજે અમારો જે મરાઠી સમાજ છે એ આ તહેવારને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે અને ઘરની અંદર પુરણપોળી બનાવે છે. અમારા દરેકે દરેક જે અહીંયા રાધેપાર્ક સોસાયટીમાં વસતા મરાઠી રહીશો છે, એ બધાના ઘરે આજે પુરણપોળી બનશે અને એ નૈવેદ્ય માતાજીને ધરાવશે. આજના દિવસે હું ખાલી એટલું જ કહીશ કે માં વિશ્વંભરી તમામ જે મારા મિત્રો છે, ભાઈ-બહેનો છે, બધાને સુખ અને શાંતિ આપે. શિવાજી મહારાજના સમયકાળથી જે આ સંસ્કૃતિને આપણે જીવતી રાખી છે, તે જ રીતે આવનારી પેઢી પણ આ ગુડી પડવાનો તહેવાર અને મરાઠી સંસ્કૃતિને જીવતી રાખે એવી હું માતા ભગવતીને પ્રાર્થના કરું છું.
ગીર સોમનાથમાં ટીબી ફોરમની બેઠક યોજાઈ:જિલ્લાને ટીબી મુક્ત કરવા ચર્ચા
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઇણાજ ખાતે આવેલી જિલ્લા કચેરીમાં ટીબી ફોરમ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2025 સુધીમાં ગીર સોમનાથ જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાનો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેષ પરમાર, વેરાવળ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શીતલ રામ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ડો. ખેવના કારાવડીયા, જિલ્લાના ઔદ્યોગિક એકમોના પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2025 સુધીમાં જિલ્લાની 176 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા બદલ તેમના સરપંચોનું સન્માન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત, ટીબીના દર્દીઓને સમયસર દવાઓ, ચેકઅપ અને રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લાની લેબોરેટરીઓની નિયમિત તપાસ કરવા અને જો કોઈ ખામી જણાય તો તેમને તાત્કાલિક બંધ કરાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ. આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવા માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા સંકલ્પ લીધો હતો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આ બાબતે કોઈપણ જરૂરિયાત ઊભી થાય તો તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ માહિતી અનિશ રાચ્છ દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવવામાં આવી છે.
મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાન 'માર્ટીનોઝ પિત્ઝા'માં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે પીઝા હાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની ગંભીરતા એ હતી કે આગ લાગી ત્યારે દુકાનની અંદર 8 જેટલા યુવાનો ફસાયેલા હતા.જેમના જીવ જોખમમાં મુકાયા હતા.રેસ્ક્યુ બાદ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.જોકે આગ ક્યાં કારણે લાગી અને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળીઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ વચ્ચે ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ફાયરની ટીમે જહેમત ઉઠાવી દુકાનમાં ફસાયેલા તમામ 8 યુવાનોને સુરક્ષિત રીતે બારીની ગ્રીલ તોડી બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. આ યુવાનોનું રેસ્ક્યૂફાયર વિભાગ દ્વારા કમલેશ નિસાથ (26), જવાલા નિસાથ (18), ગોકુલ નિસાથ (18), ભોલા નિસાથ (23), હરદીપ નિસાથ (20), પંકજ નિસાથ (20), સુનિલ નઈપાલ (22) અને કિશન નઈપાલ (22) એમ તમામ આઠેય યુવાનોને સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
પાટણ શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ચૈત્ર સુદ એકમના પાવન દિવસે ગુડીપડવા અને મહારાષ્ટ્રીયન નૂતન વર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. અંદાજે 30 જેટલા પરિવારોએ પોતાના નિવાસસ્થાને ગુડી સ્થાપિત કરી પૂજાવિધિ સંપન્ન કરી હતી. મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ચૈત્ર સુદ એકમનું વિશેષ મહત્ત્વ છે. પ્રચલિત કથા અનુસાર, આ દિવસે શાલીવાહન શાસક ગૌતમીપુત્ર સાતકર્ણીએ વિદેશી આક્રમણખોરોને હરાવી રાજ્યની સુખ-સમૃદ્ધિ પુનઃ પ્રાપ્ત કરી હતી, જેની યાદમાં આ દિવસને વિજયોત્સવ અને નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. પાટણમાં છેલ્લા ઘણા વર્ષોથી વ્યવસાય અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરિવારો આ પરંપરા જાળવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ, નાસિક, જલગાંવ અને પુણે જેવા શહેરોની જેમ જ પાટણમાં પણ આ પર્વની ઉજવણી જોવા મળી હતી. પાટણના ભદ્ર વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં વસતા પરિવારોએ વહેલી સવારે સ્નાન કરી પોતાના ઘરની છત કે આંગણામાં કાષ્ઠની લાકડી બાંધી હતી. ત્યારબાદ લાકડીના ઉપરના ભાગને તેલથી અભિષેક કરી, તેના પર રેશમી વસ્ત્ર કે સાડી પહેરાવી તાંબાનો કળશ ઊંધો મૂકી ગુડી તૈયાર કરવામાં આવી હતી. આ ગુડીનું હળદર, કંકુ અને ચોખાથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. ભદ્ર વિસ્તારમાં રહેતા સંધ્યાબેન પ્રધાન સહિતના અન્ય પરિવારોએ પણ આ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. પૂજાવિધિ દરમિયાન ગુડીને લીમડાનો મોર, હાયડો અને ફૂલહાર ચઢાવી વધામણાં કરવામાં આવ્યા હતા. ગુડીપડવા નિમિત્તે કડવા લીમડાના પાન, ગોળ અને ધાણાનો પ્રસાદ લેવાનું વિશેષ મહત્વ છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી મનાય છે. પૂજન બાદ તમામ સદસ્યોએ એકબીજાને સ્નેહમિલન કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આમ, પાટણના મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખી હર્ષોલ્લાસ સાથે નૂતન વર્ષની પ્રારંભિક ઉજવણી કરવામાં આવી.
ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી:નવા વર્ષના પ્રારંભે પરંપરાગત રીતે પર્વ મનાવાયું
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ‘ગુડી પડવા’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રો પરિધાન કરી ઘેરઘેર ગુડી સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી. આ સાથે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચૈત્ર માસના પ્રારંભ સાથે આવતા આ પર્વને મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ અપાય છે. માન્યતા અનુસાર, ભગવાન શ્રી રામે વાલીનો સંહાર કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજદિન સુધી જળવાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજે ઘરોમાં ગુડી ઉપર તાંબાનો કલશ મૂકીને તેને રેશમી વસ્ત્રોથી શોભિત કરી પૂજા અર્ચના કરી હતી. ચૈત્ર નવરાત્રીના આરંભને અનુલક્ષીને સૂર્યનારાયણની આરાધના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લીમડાના રસની પ્રસાદી ગ્રહણ કરવાની પરંપરાનું પણ પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજે ધાર્મિક ભાવનાથી ગુડી પડવાના પર્વની ઉજવણી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'સમર્પણ અને ત્યાગમૂર્તિ: મણિબહેન પટેલ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ 'સરદાર સાગા' અંતર્ગત તેમની પુત્રી મણિબહેન પટેલના રાષ્ટ્રપ્રેમ અને સામાજિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ પ્રો. નિરંજન પટેલ અધ્યક્ષ સ્થાને હતા. પ્રો. નમ્રિતા કોલા, ડૉ. વસંત પટેલ અને ડૉ. જિગીષ પંડ્યા સહિતના શિક્ષણવિદો પણ હાજર રહ્યા હતા. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જેવા વિષયો પર રીલ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૨૦થી વધુ એન્ટ્રીઓ આવી હતી. ડૉ. અર્પિત પાટડિયા અને ડૉ. રાજેશ્વરી પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠા ગુપ્તાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે પાખી દોવારાહ અને મ્રીદ્દુપ બોરૃઆહ દ્વિતીય સ્થાને વિજેતા બન્યા હતા. રાધાશ્રી ઉપાધ્યાય અને અદિતિ પટેલ તૃતિય સ્થાને વિજેતા રહ્યા હતા. ડૉ. અપૂર્વા અને તેમની ટીમને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા અને ભૂમિ ચાવડાના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
પાટણમાં રાણકીવાવ નજીક આવેલા ઐતિહાસિક કાલિકા માતા મંદિરે આજથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીને દેશ-વિદેશના ડાયમંડના આભૂષણો અને કલકત્તા-મુંબઈના રંગબેરંગી ફૂલોનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ નગરીના નગરદેવી તરીકે પૂજાતા કાલિકા માતાનું આ પ્રાચીન મંદિર પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા આ મંદિરમાં આદ્યશક્તિ માં કાલિકા અને મહાલક્ષ્મી સ્વરૂપે ભદ્રકાળી માતા બિરાજમાન છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મૂર્તિને વિશિષ્ટ રીતે શણગારવામાં આવી હતી. પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા માતાજીને પુષ્પમાળા તેમજ દેશ-વિદેશથી લાવવામાં આવેલા વિવિધ ઘાટ અને આકારના ડાયમંડના આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કલકત્તા અને મુંબઈથી મંગાવવામાં આવેલા રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. નવ દિવસીય મહોત્સવ દરમિયાન કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને દરરોજ અલગ-અલગ પ્રકારની આંગી, નિતનવા વસ્ત્રો અને અલંકારોથી આભૂષિત કરવામાં આવશે. મંદિર પરિસર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રી દરમિયાન દરરોજ સવારે 10 વાગ્યે શૃંગાર આરતી, સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 9:30 વાગ્યે સંપૂર્ણ શૃંગાર દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આ ધાર્મિક અનુષ્ઠાનોની સાથે મંદિર પ્રાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમયુની આઈસ્ટાર કોલેજના એલ્યુમની એસોસિએશન સેલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિવિધ કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટોયો ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, દહેજના જનરલ મેનેજર રાહુલ મેહતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બૈજુ વર્ગીસ અને મિતાલી વારિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સંસ્થાના પ્રિન્સિપાલ ડો. એમ.એમ. રાજે એલ્યુમની મીટનું મહત્વ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને અપાતા યોગદાન વિશે માહિતી આપી હતી. ડો. હિરલ પટેલે ઉપસ્થિત એલ્યુમની વિદ્યાર્થીઓની કારકિર્દી અને તેમની સિદ્ધિઓ વિશે ચિતાર આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આઈસ્ટાર સંસ્થાના આચાર્ય ડો. એમ.એમ. રાજ, કોલેજ સંયોજક ડો. જીગર પટેલ અને મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખ રૂપેશ શાહ દ્વારા દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીના ઘડતરમાં સંસ્થાના યોગદાન અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે રવીશ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત 12મા વર્ષે લિબરલ આર્ટ્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ હેઠળ આયોજિત આ ચાર દિવસીય વર્કશોપમાં બી.ટેક., બી.બી.એ. અને બી.સી.એ. જેવી પ્રોફેશનલ વિદ્યાશાખાઓના 2322 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, સ્કલ્પટિંગ, ડ્રામા અને ડાન્સ સહિતના વિવિધ વિષયોમાં 30,000થી વધુ મોડેલ્સ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અતુલ પટેલે આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્યું કે, પ્રમુખ સુરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ કલા-સંસ્કારમાં પણ નિપુણ બને તે હેતુથી આ પ્રયોગ કરવામાં આવે છે. રજીસ્ટ્રાર બિનીત પટેલે ઉમેર્યું કે, NEP-2020નું અમલીકરણ હવે થઈ રહ્યું છે, પરંતુ ચારૂસેટે 2014થી જ લિબરલ આર્ટ્સને ક્રેડિટ કોર્સ તરીકે દાખલ કરી દીધો હતો. વર્કશોપના સંચાલક અને ડીન ડો. ભાસ્કર પંડ્યાના જણાવ્યા અનુસાર, આ આયોજનમાં 59 તજજ્ઞો અને 12 કોર્સ કોર્ડિનેટરની ટીમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર સુનીલ આડેસરા, નાટ્ય ટ્રેનર પ્રદીપ પટેલ અને ચિત્રકાર કનુ પટેલ જેવા દિગ્ગજ કલાકારોએ ભાગ લઈ વિદ્યાર્થીઓની કલાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કલાકાર કનુ પટેલે ચારૂસેટના આ પગલાને અનુકરણીય ગણાવી બિરદાવ્યું હતું. હ્યુમેનિટીઝ વિભાગના વડા ડો. કૌશિક ત્રિવેદીએ માહિતી આપી કે, છેલ્લા 12 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓએ વિવિધ કલા ક્ષેત્રોમાં તાલીમ મેળવી છે. આ પ્રદર્શનની 5000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ મુલાકાત લઈ કલાના આ મહાકુંભને વધાવ્યો હતો.
અમરેલી પોલીસ તહેવારોને લઈ એલર્ટ મોડમાં:સાવરકુંડલામાં ASP જયવીર ગઢવીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું
અમરેલી જિલ્લામાં આગામી રામનવમી અને રમઝાન ઈદ જેવા મહત્વના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે સાવરકુંડલા શહેરમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, ASP જયવીરસિંહ ગઢવીના નેતૃત્વ હેઠળ સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસે રાત્રી દરમિયાન શહેરના મુખ્ય રાજમાર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ (ફૂટ માર્ચ) હાથ ધર્યું હતું. આ કામગીરીમાં અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, પોલીસ તંત્ર દ્વારા સામાજિક આગેવાનો અને વેપારીઓ સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો છે. તેમને શાંતિ જાળવવા અને પોલીસને સહયોગ આપવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સાવરકુંડલા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નિર્ભયતાથી અને ભાઈચારાના માહોલમાં તહેવારોની ઉજવણી કરે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.
ભાવનગરના નાગધણીંબા ગામના ખેડૂતને તેના વાડી ભાગીયા સાથે ઘંઉના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખી ભાગીયાના કહેવાથી ચાર શખસે ખેડૂતને આંતરી તેને મારમારી સોનાની રૂદ્રાશની માળા, બે વિંટી અને કાંડા ઘડીયાળની લૂંટ ચલાવી હતી. જે મામલે ગુનો નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટ કરનાર બે શખસને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ બનાવના ત્રણ શખ્સો ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ખેડૂતને માર મારી લૂંટ કરી હતીઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી માહિતી મુજબ, ભાવનગરના નાગધણીંબા ગામે રહેતા ખેડૂત અશોક દુલાભાઈ ઈટાલીયાએ 15 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાગ્યા સંજય ગોરધનભાઈ પરમાર સાથે ઘઉંના હિસાબના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ તથા ગોપાલ પોપટભાઈ કોળી તથા એક અજાણ્યા ઈસમ ખેડૂત અશોકના ભાગ્યા સંજયની ચઢામણીથી અશોક કાર લઈને નીકળતા તેને રોકાવી ગાળો આપી ગળામાં પહેરેલ અઢી તોલાની આશરે 2 લાખની સોનાની રુદ્રાક્ષની પારા વાળી માળા તથા આશરે 50 હજારની કિંમતની સોનાની બે વીંટીઓ તથા 50 હજાર કિંમતની સેકોન્ડા કંપનીની ઘડિયાળ મળી કુલ રૂ. ત્રણ લાખનો મુદ્દામાલ લઈ અશોકને મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બે આરોપીની ધરપકડઆ મામલ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જે મામલે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં નાગધણીંબાના ખેડૂતને આંતરી લૂંટ ચલાવનારા ભરત ઉર્ફે ભગત નાનુભાઉ સિંધવ (ઉં.વ.35 રહે. ભડી ગામ, જિ.ભાવનગર) અને સંજય ગોરધનભાઈ પરમાર (ઉં.વ.33, રહે. નાગધણીંબા ગામ તા.જિ.ભાવનગર)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યા શખસ સહિત ત્રણ હજુ ફરારજ્યારે આ મામલે વરતેજ પોલીસ મથકના પી.આઈ. ચુડાસમાએે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતુ કે, આ બનાવમાં કુલ 4 શખસ અને એક અજાણ્યા ઈસમ મળી 5 સામે ગુનો નોંધાયો હતો. વરતેજ પોલીસે વાડીના ભાગ્યા સંજય ગોરધનભાઈ પરમાર અને ભડી ગામના રહેવાસી ભરત ઉર્ફે ભગત નાનુભાઈ સિંધવને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે આ બનાવના ફરાર અન્ય બે શખ્સ અને એક અજાણ્યા ઈસમને ઝડપી લેવા ચકોગતિમાન કર્યા છે.
સુરતમાં યોગીચોકના યુવકે ઝેર પીને વીડિયો બનાવી જીવન ટૂંકાવી લીધું છે. દિવાળી પહેલા હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયા માથે થઈ ગયા હતા. જેથી લેણદારોના ફોન આવતા તેમણે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તેથી ટેન્શનમાં રહેતા યુવકે આપઘાતનું પગલું ભરી લીધું હતું. હીરા દલાલે ઝેર પીધા બાદ અલગ અલગ ત્રણ વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ યોગીચોક વિસ્તારમાં આવેલ શગુન રેસીડેન્સીમાં 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. સંદીપભાઈ કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં આવેલી એક હીરાની ઓફિસમાં કાટીમાં નોકરી કરતા હતા. દિવાળી પહેલા સંદીપભાઈ હીરા દલાલીનું કામકાજ કરતા હતા. આ દરમિયાન તેને અંદાજે તેના પર 50 લાખ રૂપિયાનું માથે દેવું થઈ ગયું હતું. જેથી લેણદારો અનેક વખત તેને ફોન કરીને રૂપિયા માગતા હતા. વારંવાર વાયદાઓ કર્યા બાદ હાલ સંદીપભાઈ પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ બચ્યા ન હતા. જેથી ટેન્શનમાં આવીને તેઓએ ઓફિસમાં ઝેર પી લીધું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ સંદીપભાઈનું મોત નિપજ્યું હતું. થોડાક દિવસ પહેલા પણ સંદીપભાઈએ તેના મોટા ભાઈને આ બાબતે વાત કરી હતી કે, મારી પાસે તેઓને આપવા માટે કોઈ જવાબ પણ નથી બચ્યા. સંદીપભાઈએ આપઘાત કરતા પહેલા ત્રણ અલગ અલગ લાઈવ વીડિયો બનાવ્યા હતા. 56 સેકન્ડના વિડીયોમાં શું કહ્યુંમેં દવા પી લીધી છે, મને બધા માફ કરજો મારી ભૂલ થઈ ગઈ છે. હું કોઈના પૈસા નથી દઈ શકું એમ અત્યારે તાત્કાલિક... પરંતુ તમે બધા માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ હતી. મેં અનાજમાં નાંખવાનો પાઉડર પી લીધો છે. એમાં મારા ઘરવાળાનો બિલકુલ વાંક નથી. મારા ભાઈઓ પણ સારા છે, મારું આખું ઘર સારું છે. હવે જીવવું એ કંઈ ઉંમર નથી, રોજ મને એટલું ટેન્શન છે ને... મને માફ કરજો બધા. 59 સેકન્ડના વિડીયોમાં શું કહ્યુંહું આ લેણાવાળાથી કંટાળી ગયો છું. હું મારી જાતે આપઘાત કરું છું. મારા ઘરમાં કોઈનો વાંક નથી, મારા ઘરવાળા બધા સારા છે. ટપ્પુ તું મને માફ કરજે. છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. હું જવાબ નથી દઈ શકતો લોકોને. બહુ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી. પપ્પા મને માફ કરજે. મારા ઘરવાળા બધા સારા છે, એનો કોઈનો વાંક નથી. હું મારી જાતે કરું છું, કારણકે મારાથી જવાબ નથી દેવાતા. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક. ઘરવાળાને કહી નથી શકતો. 12 સેકન્ડના વિડીયોમાં શું કહ્યુંઅરે માર્કેટમાં પૈસા લેવાના છે, 16-17 લાખ રૂપિયા એ મારા અટવાણા છે એટલે હું કોઈને નથી દઈ શક્યો ટાઈમે.
કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં, પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એકસાથે આવે છે. કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે. આ રચનાઓમાં ક્યારેક આકાર સ્પષ્ટ થાય છે તો ક્યારેક તે અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે. આ રીતે કૃતિઓ આકાર અને અભિપ્રાય વચ્ચેની એક રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે. એક્ઝિબિશનનો એક વિશિષ્ટ ભાગ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે. આ સર્કયુઅલ ફોર્મેટ આર્ટને એક પ્રતિકાત્મક અને આધ્યાત્મિક પરિમાણ આપે છે. માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળીને એક અનોખી દૃશ્ય અનુભૂતિ સર્જે છે. ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ રાજેન્દ્ર કડિયાની આર્ટિસ્ટિક પ્રેક્ટિસના મેચ્યોર ફેઝને દર્શાવે છે. અહીં પેઇન્ટિંગ માત્ર અંતિમ ચિત્ર નથી, પરંતુ એક સતત ચાલતી ક્રિએટિવ પ્રોસેસ છે. એક્ઝિબિશન દરરોજ સાંજે 4:00 થી 8:00 વાગ્યા સુધી 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ અનુસૂચિત જાતિના પરિવાર સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી કિશોરભાઈ બથવાર પોતાના પરિવારની સંયુક્ત જમીન પરથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે જરૂરી ફોર્મ પર સહી કરાવવા સરપંચના ઘરે ગયા હતા. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો અને ચાર સાક્ષીઓ પણ હાજર હતા. આ સમયે સરપંચ બસુભાઈ ચોહલાએ ફોર્મ પર સહી કરવાની ના પાડી અને ફોર્મ ફાડી નાખ્યું હતું. તેમણે ફરિયાદીના ભાઈ સવજીભાઈને લાફો મારી ઝપાઝપી કરી હતી. આ ઘટના દરમિયાન એક મોબાઈલ ફોન પણ નીચે પડી ગયો હતો અને સમગ્ર બનાવનો વીડિયો બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટના અંગે ફરિયાદીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં વીડિયો પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. ગઢડા પોલીસે સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2) તેમજ એટ્રોસિટી અધિનિયમની કલમ 3(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે નાગરિકોને વિશ્વાસભર્યો સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. કલેક્ટરે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે, પરંતુ દરેક માહિતી સાચી હોતી નથી. કેટલીક અફવાઓ લોકોમાં અનાવશ્યક ભય અને ગભરાટ પેદા કરે છે. આવી પરિસ્થિતિમાં, સચોટ માહિતી પર વિશ્વાસ રાખવો અને જવાબદાર નાગરિક તરીકે વર્તવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે ગેરસમજ અને અફવાઓને કારણે અનાવશ્યક ભીડ અને સંગ્રહ કરવાની વૃત્તિથી તંત્ર પર બોજો વધે છે. જો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ લે અને નિયમોનું પાલન કરે, તો દરેક સુધી સરળતાથી પુરવઠો પહોંચી શકે છે. કલેક્ટરે ખાસ ભાર મુક્યો કે નાગરિકોએ માત્ર અધિકૃત ગેસ એજન્સીઓ અથવા વિક્રેતાઓ પાસેથી જ સિલિન્ડર મેળવવા જોઈએ. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કાળાબજારી સામે અવાજ ઉઠાવવા અને જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવવા તેમણે અપીલ કરી. જિલ્લા પ્રશાસન દ્વારા ગેસ પુરવઠા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક નાગરિક સુધી ગેસનો પુરવઠો સુચારૂ રીતે પહોંચે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સમય એકતા અને સમજદારીથી કામ કરવાનો છે. અફવાઓને બદલે સત્ય પર વિશ્વાસ રાખવા અને ગભરાટને બદલે સંયમ રાખવા કલેક્ટરે નાગરિકોને અનુરોધ કર્યો.
ઇરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા? કહ્યું - હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરીએ
Iran Attack on Qatar : મિડલ ઈસ્ટમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું જંગ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાનના તેલ અને ગેસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. જોકે, હવે આ વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી અને કડક ચેતવણી આપીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈરાને કતાર પર હુમલો કરવાની ભૂલ કરી, તો પરિણામ ભયંકર આવશે. દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ 'સાઉથ પાર્સ' પર શું થયું?
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો
Sensex and Nifty News : મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે 'ઓઈલ વોર'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112
Rupees against Dollar News : અખાતી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો અને ડૉલરની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો તળીયે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ઉભી થયેલી તેલ પુરવઠાની કટોકટીએ ભારતીય ચલણ 'રૂપિયા'ની કમર તોડી નાખી છે.
કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગત(18 માર્ચ) મધરાત્રે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. આ આગમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઓઈલ અને ટાયરના ગોડાઉનમાં આગકલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મધરાત્રિના સમયે જ્યારે શહેર નિદ્રાધીન હતું, ત્યારે કર્મયોગી સોસાયટીમાં આવેલા ઓઈલ અને ટાયરના ગોડાઉનમાંથી અચાનક આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યાઆ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. જેમાં કલોલ, કડી, ઇફકો, ONGC અને ગાંધીનગરથી કુલ 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખ્યો, સર્વિસ રોડને બંધ કરાયોઆ અંગે ફાયર સૂત્રોએ કહ્યું કે,ઓઈલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો અને સર્વિસ રોડને પણ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યોઆ ઘટનાની જાણ થતા જ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા મોરચો સંભાળ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂપ્રાથમિક અહેવાલો મુજબ, આ આગમાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૂપિયાનો ઓઈલ, ગ્રીસ અને ટાયરનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સુધી આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે, ત્યારે પણ મનપાનાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાંચ ટાઉનશીપની ખાલી પડેલી 52 દુકાનોની હરાજી કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આવક વધારવાના હેતુથી આ આવાસ યોજનાઓની દુકાનો વેચવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પૈકી વકિલ ઈમાનદાર ટાઉનશીપ અને લાલુભાઈ પારેખ ટાઉનશીપની કુલ 19 દુકાનોની હરાજી માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તો અન્ય 3 ટાઉનશીપની 33 દુકાનો માટે હાલ મ્યુ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જોવાઈ રહી છે. એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ શિવ ટાઉનશીપ સામે આવેલ વકિલ ઇમાનદાર ટાઉનશીપની 9 દુકાનો અને લાલુભાઈ પારેખ ટાઉનશીપ ખાતે 10 દુકાનો માટે મંજૂરી મળી ચુકી છે. આ ઉપરાંત, સ્માર્ટઘર યોજના-2 અંતર્ગત સિતાજી ટાઉનશીપની 20 દુકાનોની હરાજી પણ કરવામાં આવશે. જેમાં સેકન્ડ ફ્લોર પર આવેલી 19 દુકાનોનો સમાવેશ થાય છે. આ દુકાનોનો કાર્પેટ એરિયા 17.94 ચોરસ મીટરથી 21.21 ચોરસ મીટર સુધીનો છે, જ્યારે તેની અપસેટ કિંમત રૂ. 15,10,000 થી રૂ. 15,30,000 સુધી નિયત કરવામાં આવી છે. આ હરાજી દ્વારા મહાનગરપાલિકાને મોટા પ્રમાણમાં આવક થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેવી જ રીતે, કવિ કલાપી ટાઉનશીપના શોપિંગ સેન્ટરમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલી 10 દુકાનોની હરાજી માટે પણ દરખાસ્ત તૈયાર છે. આ દુકાનોનો એરિયા 10 ચોરસ મીટરથી 26.02 ચોરસ મીટર સુધીનો છે, જેની લઘુત્તમ અપસેટ કિંમત રૂ. 10,00,000 અને મહત્તમ રૂ. 11,60,000 રાખવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. 1 માં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી શહિદ સુખદેવસિંહ ટાઉનશીપની 3 દુકાનોનો પણ સમાવેશ થાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન (14.19 ચોરસ મીટર) ની કિંમત રૂ. 18,30,000 અને સેકન્ડ ફ્લોરની બે મોટી દુકાનો (53.04 અને 50.29 ચોરસ મીટર) ની અપસેટ પ્રાઇઝ અનુક્રમે રૂ. 46,90,000 અને રૂ. 48,90,000 નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે મનપા દ્વારા જ્યારે પણ નવી ટાઉનશીપ બનાવવામાં આવે છે, ત્યારે તેના નિભાવ ખર્ચ અને આવકના સ્ત્રોત ઊભા કરવા માટે કોમર્શિયલ દુકાનો અને ઓફિસોની હરાજી કરવામાં આવતી હોય છે. અગાઉ ઘણી વખત અપસેટ પ્રાઇઝ કરતા ઊંચા ભાવ નહીં મળવાને કારણે હરાજી રદ કરવી પડી હતી, પરંતુ તાજેતરમાં થયેલી હરાજીમાં તંત્રને સારો પ્રતિસાદ અને આવક મળી હતી. આ સફળતાને ધ્યાને રાખીને એસ્ટેટ વિભાગે ચૂંટણી પૂર્વે આ તમામ 52 મિલકતોનો નિકાલ કરવા માટે કમર કસી છે. જો કમિશનર તરફથી બાકીની ટાઉનશીપ માટે ત્વરિત મંજૂરી મળશે, તો ટૂંક સમયમાં આ તમામ મિલકતો માટે જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ ખેડબ્રહ્મા ખાતે આવેલા શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ મા અંબિકાના આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિર પરિસર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નવ દિવસીય નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ ઉપાસના માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર નવરાત્રી નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. ગર્ભગૃહ અને માતાજીની મૂર્તિને મનમોહક ફૂલોના હારથી શણગારવામાં આવી છે. આજે પ્રથમ નોરતે માતાજીએ ગજ કેસરી સવારી પર બિરાજમાન થઈ મહાલક્ષ્મી સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા હતા. માનું આ દિવ્ય સ્વરૂપ જોઈ માઈભક્તોએ ધન્યતા અનુભવી હતી. માતાજીના મંદિરે પરંપરાગત રીતે ઉજવણીના ભાગરૂપે આજે સાંજથી જ મંદિરના પટાંગણમાં આવેલા ચાચર ચોકમાં ગરબાનું આયોજન થશે. આગામી નવ દિવસ સુધી ખેડબ્રહ્મામાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે, જેના માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
પ્રભાસ પાટણના શૈક્ષણિક આકાશમાં આ દિવસ એક યાદગાર ક્ષણ બની રહ્યો, જ્યારે પી.એમ. શ્રી પે સેન્ટર શાળાના આંગણે “કેકારવ” નામે ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. શાળાના નાનકડા બાળકોની કળા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને આનંદથી ભરી દીધું. બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત, નાટ્ય અને લોકસંસ્કૃતિ આધારિત કાર્યક્રમો રજૂ કરી હાજર રહેલા મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા. રંગબેરંગી વેશભૂષા, અભિવ્યક્તિ અને તાલમેલથી સજ્જ દરેક પ્રસ્તુતિએ દર્શકોના દિલ જીતી લીધા અને શાળાનું આંગણું તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, સોમનાથ પાટણના પીઆઈ ગોસ્વામી, ડૉ. આર.ડી. સાવલીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરદાસભાઈ નંદાણીયા સહિત શિક્ષણક્ષેત્રના અનેક આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો ન રહ્યો, પરંતુ બાળકોમાં રહેલી છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાનો એક ઉત્તમ મંચ બની રહ્યો. વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને શાળાને આર્થિક તેમજ માનસિક સહકાર આપ્યો. આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પરબતભાઈ જાખોત્રા અને શિક્ષકમિત્રોએ ભારે મહેનત કરી હતી. તેમની માર્ગદર્શન અને સંકલન શક્તિએ “કેકારવ”ને એક યાદગાર અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ફેરવી દીધો. અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે અને તે તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. “કેકારવ” માત્ર એક વાર્ષિકોત્સવ નહોતો, પરંતુ તે બાળકોના સપનાઓને પાંખ આપતો, તેમની અંદરની પ્રતિભાને મંચ આપતો અને શિક્ષણને આનંદમય બનાવતો એક જીવંત ઉત્સવ બની રહ્યો.
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટ્સ એન્ડ શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે “પુસ્તક મહોત્સવ – BOOK BONANZA 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ મહોત્સવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યેનો ઉત્સાહ પ્રગટ કર્યો. “પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે” જેવી ઉક્તિને સાકાર કરતી આ ઉજવણીમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને વાંચન સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિષયોના જ્ઞાનસભર પુસ્તકોના પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વાંચનની દુનિયામાં ડૂબકી લગાવી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના કુલસચિવ મહેશભાઈ મેતરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને આશરે 250થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જીગર આર. રાવલ એ જણાવ્યું હતું કે, “ઉત્તમ પુસ્તકો જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.” ગ્રંથપાલ ડૉ. મૈત્રી જોશીએ લાયબ્રેરીના સમૃદ્ધ પુસ્તક સંગ્રહ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ, ગ્રંથપાલ તેમજ NCC ના કો. ઓર્ડીનેટર પ્રો. અર્જુન ચોચા ના માર્ગદર્શન તળે NSS અને NCCના વિદ્યાર્થીઓએ ભારે મહેનત કરી હતી. આ પુસ્તક મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થયો.
ચૈત્રના પ્રથમ નોરતે વાતાવરણમાં પલટો:હિંમતનગરમાં ધૂળની ડમરીઓ ઉડતા ખેડૂતો ચિંતિત
સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે હિંમતનગર સહિત સમગ્ર પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાતાવરણ ધૂંધળું બન્યું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં ખેતરોમાં ઘઉંની કાપણીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભારે પવન અને ધૂળની ડમરીઓને કારણે કાપણીના કામમાં અવરોધ ઊભો થયો છે. આ ઉપરાંત, ખેડૂતો પોતાનો તૈયાર થયેલો ઘઉંનો પાક વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવી રહ્યા છે. ખુલ્લામાં પડેલા અનાજને ધૂળ અને સંભવિત માવઠાથી બચાવવા માટે ખેડૂતો અને વેપારીઓમાં દોડધામ જોવા મળી હતી. જો પવન સાથે વરસાદી ઝાપટું પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
વેરાવળની શ્રી ચોક્સી કોલેજમાં 18 માર્ચ, 2026ના રોજ 'પુસ્તક મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે આ 'બુક બોનાન્ઝા' ઉજવાયો હતો. સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી ચાલેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાનો અને જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરવાનો હતો. કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવ મહેશભાઈ મેતરા, પ્રિન્સિપાલ નરેન્દ્ર પંડ્યા, સવજાણી કોલેજના ટ્રસ્ટી ગિરીશભાઈ કારીયા અને નવલભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.જે. બંધિયા, ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્મિતાબેન છગ, જે.એમ. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ, ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી જયસ્વાલ સાહેબ, રેયોન સ્કૂલના આચાર્ય અને સ્ટાફ, જન સેવા ટ્રસ્ટ રેયોન તથા વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને જુદી જુદી કોલેજોના પ્રાધ્યાપકોએ પણ આ મહોત્સવનો લાભ લીધો હતો. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. જીગર રાવલે જણાવ્યું હતું કે, ઉત્તમ પુસ્તકો જીવન બદલવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે હેતુથી લાયબ્રેરી સમિતિ દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધી હતી. ગ્રંથપાલ ડો. મૈત્રી જોશીએ લાયબ્રેરીના વિવિધ પુસ્તકોના સંગ્રહ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. અંગ્રેજી સાહિત્યથી લઈને વિવિધ વિષયોના જ્ઞાનસભર પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ પ્રો. (ડો.) જીગર આર. રાવલ, સમગ્ર કોલેજ સ્ટાફ, ગ્રંથપાલ તથા એન.એસ.એસ. અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી અનિસ રાચ્છ દ્વારા એક યાદીમાં આપવામાં આવી હતી.
પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસે મારામારી અને લૂંટના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આજે ઘટનાસ્થળે પકડાયેલા આરોપીઓ સાથે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. જોકે, આ ઘટનાનો મુખ્ય આરોપી વિજય બાપોદરા હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઘટના ગત તારીખ ૧૬ માર્ચ, ૨૦૨૬ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ફરિયાદી રામદે દેવશી પરમાર (રહે. બોખીરા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તે રાત્રે આશરે ૧૨ વાગ્યે તેમના મિત્ર મહેશ ઓડેદરાના ફોન પર વિજય બાપોદરાનો ફોન આવ્યો હતો અને તેમને સની આઈના મંદિર પાસે બોલાવ્યા હતા. ફરિયાદી અને તેમના મિત્રો ત્યાં પહોંચતા, આરોપી વિજય સરમણભાઈ બાપોદરા અને તેના સાથીઓએ ફોર વ્હીલર કાર (નંબર GJ-18-BL-9222) વચ્ચે ઉભી રાખી રસ્તો રોક્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને તેમના મિત્રો મહેશ, સુનીલ અને મેહુલ સાથે ઉગ્ર બોલાચાલી કરી જાહેરમાં ગાળો આપી હતી. આરોપી વિજય બાપોદરાએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તેમનું માથું કારના બોનેટ પર પછાડ્યું હતું. જ્યારે ફરિયાદી પોલીસને ફોન કરવા ગયા, ત્યારે તેમનો આઈફોન છીનવીને રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો, જેનાથી આશરે રૂ. ૫૦૦૦/-નું નુકસાન થયું હતું. આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસે BNS કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૨૪(૨), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં કરણ ઉર્ફે કલો ઉમેદગીરી મેઘનાથી (રહે. બોખીરા), નાગજણ રામભાઈ ભુતીયા (રહે. ખાપટ, સાત માળિયા) અને ભુમીત પરબતભાઈ બાપોદરા (રહે. બોખીરા)નો સમાવેશ થાય છે. પોલીસ અહેવાલ મુજબ, આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર વિજય સરમણભાઈ બાપોદરા (રહે. બોખીરા) હજુ પોલીસ પકડથી દૂર છે. ઉદ્યોગનગર પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલી ચાર રસ્તા પાસે આઈસર ટેમ્પોમાં આગ:શોર્ટ સર્કિટથી લાગી, ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ
ચીખલી તાલુકામાં ચીખલી ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાર્ક કરેલા એક આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે, ટેમ્પોના ચાલક અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટેમ્પોના કેબિનના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ વાહનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ચીખલી પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ ન થાય તે માટે વ્યવસ્થા સંભાળી હતી. આગના કારણે વાહનને મોટું નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ ન થતા રાહત થઈ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારની એક હચમચાવતી ઘટના સામે આવી છે. આજે 19 માર્ચની સવારે રચના સર્કલ પાસે આવેલા એમ્બ્રોઈડરીના કારખાના આગથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બેના મોત થયાં છે, જ્યારે 11 લોકને ઇજા પહોંચી છે. એમ્બ્રોઈડરીના કારખાના રહેલાં LPG સિલિન્ડરમાં વિસ્ફોટ બાદ આગ લાગત અફરાતફરી મચી જવા પામી હતી. ભીષણ આગને પગલે 7 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. 11થી વધુ ફસાયેલા કામદારોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...
પાટણ સિવિલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ:ઉત્તર પ્રદેશની સગીરાના અપહરણની શંકા, પિતાએ નોંધાવી ફરિયાદ
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી 14 વર્ષની એક સગીર કિશોરી ગુમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની આ દીકરી તેની માતાની પ્રસૂતિ સમયે હોસ્પિટલમાં હાજર હતી. ત્રણ દિવસથી ગુમ થયેલી કિશોરીનો પત્તો ન લાગતા તેના પિતાએ અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા ઉત્તર પ્રદેશના કાસગંજના શહબાજપુરના એક શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરીની માતાને પ્રસૂતિ માટે પાટણની ધારપુર સિવિલના પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. માતાએ આઠમા સંતાન તરીકે એક દીકરીને જન્મ આપ્યો હતો. માતાની સંભાળ રાખવા માટે આ મોટી દીકરી હોસ્પિટલમાં રોકાઈ હતી, જ્યારે તેના પિતા બીજી દીકરીની બીમારીના કારણે સિદ્ધપુરના કાલેડા ગામે ભઠ્ઠા પર ગયા હતા. 15 માર્ચના રોજ માતા નવજાત બાળકીને દૂધ પીવડાવવા માટે NICU વોર્ડ નંબર 19માં લઈ ગઈ હતી અને મોટી દીકરીને બહાર બેસવાનું કહ્યું હતું. માતા બાળકીને દૂધ પીવડાવીને બહાર આવી ત્યારે મોટી દીકરી ત્યાં જોવા મળી ન હતી. તેની ઘણી શોધખોળ કરવા છતાં અને તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તે મળી ન હતી. બાદમાં કિશોરીના પિતાને જાણવા મળ્યું કે તેમના ઈંટના ભઠ્ઠા પર કામ કરતો ઉત્તર પ્રદેશનો મજૂર ઓમકાર સુખવીર સૈની તેમની દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. પિતાએ તેને ઠપકો આપ્યા બાદ તે પોતાના વતન જતો રહ્યો હતો. આથી પિતાને શંકા ગઈ કે ઓમકાર તેમની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો છે, અને તેમણે પાટણના રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. ચેન્નાઈની સત્યભામા યુનિવર્સિટી ખાતે 10 થી 14 માર્ચ, 2026 દરમિયાન આયોજિત 'AIU 39th નેશનલ યુથ ફેસ્ટિવલ'માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મહોત્સવમાં દેશભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ વચ્ચે યોજાયેલી પાંચ સ્પર્ધાઓમાં સીવીએમ યુનિવર્સિટીની ટીમે પ્રભાવશાળી દેખાવ કરી અનેક પુરસ્કાર હાંસલ કર્યા હતા. આ સ્પર્ધાઓમાં સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલકુમાર પટેલ અને આદિત્ય કાપડિયાએ વાદ-વિવાદ (Debate) સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત, નીલકુમાર પટેલે મિમિક્રી સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે આદિત્ય કાપડિયાએ વકતૃત્વ (Elocution) સ્પર્ધામાં તૃતીય સ્થાન હાંસલ કરી યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ કલ્ચરલ હેડ ડૉ. સર્વેશ ત્રિવેદી, ડૉ. યોગેશ ચૌહાણ તથા શ્રી કનુ પટેલના માર્ગદર્શનની મહત્વની ભૂમિકા રહી હતી. તેમની સાથે ટીમ મેનેજર શ્રી સાગર જાની અને શ્રી સ્નેહ વ્યાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉત્તમ તાલીમ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ગવર્નિંગ બોડી (GOB) અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ના તમામ સભ્યશ્રીઓએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજિત પટેલે પણ વિજેતા વિદ્યાર્થીઓ અને સમગ્ર માર્ગદર્શક ટીમને તેમની મહેનત બદલ બિરદાવી હતી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. માર્ચ મહિનામાં ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ આકસ્મિક માવઠાને લીધે ખેતી પાકો પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં 50થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષના 1100 ઉપરાંત વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ CVM યુનિવર્સિટી સંલગ્ન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT), એમ.બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) અને જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET)ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ગત શનિવાર, 14 માર્ચ 2026ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સૂત્ર અનુભવ સે સંવાદ, સફળતા કી શરૂઆત હતું. કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન ADIT અને GCET ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડો. દર્શક દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને વિભાગીય વડા પણ હાજર રહ્યા હતા. ટ્રેનિંગ એન્ડ IIIP સેલના હેડ અને કન્વીનર મિનેષ અમીન તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા આ સત્રોમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓના રિઝ્યુમ સ્ક્રીનિંગ અને ગ્રુપ ડિસ્કશન (GD) જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી તેમને કોર્પોરેટ જગતની જરૂરિયાતો અને ઇન્ટરવ્યૂ ટેકનિક વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઈન્ડસ્ટ્રી-સ્ટુડન્ટ ઈન્ટરેક્શન સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેમ્પસથી કારકિર્દી સુધીની સફળતાના માર્ગ માટે તૈયાર કરવાનો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને સીધા ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે સંવાદ કરીને પ્લેસમેન્ટ માટેની તેમની તૈયારીઓને ઓપ આપ્યો હતો. આયોજકોએ પધારેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહભાગીઓનો આભાર માની કાર્યક્રમની સફળતાને બિરદાવી હતી. CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ગવર્નિંગ બોડી તથા બોર્ડ ઓફ મેમ્બર્સ દ્વારા આ કાર્યક્રમની સફળતા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
LPG બાદ હવે તેલનું આગમન:80 હજાર મેટ્રિક ટન ક્રૂડ સાથે ‘જગ લાડકી’ જહાજ મુન્દ્રા પહોંચ્યું
પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને દરિયાઈ માર્ગો પરના પડકારો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ભારતીય ધ્વજ ધરાવતું વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ સંયુક્ત આરબ અમીરાતથી આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સુરક્ષિત રીતે લાંગર્યું છે. આ શિપમેન્ટ ભારતની મુખ્ય રિફાઇનરીઓ માટે જીવનરેખા સમાન સાબિત થશે. ‘જગ લાડકી’ટેન્કર તેની અદભૂત ક્ષમતા અને કદ માટે જાણીતું છે. આ જહાજની કુલ લંબાઈ 274.19 મીટર અને પહોળાઈ 50.04 મીટર છે. યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુર્જરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર ગત શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ફૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે. 14 માર્ચના રોજે જ્યારે જગ લાડકી જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ઓઈલ લોડ કરી રહ્યું હતું બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST) જગ લાડકી લગભગ 80.800 ટન ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે મુન્દ્રા બંદર આવવા રવાના થયું હતું જે બુધવારે સવારે અદાણી પોર્ટ પર પહોચ્યું હતું. અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ આ વિશાળ જહાજને સુરક્ષિત બર્થિંગ સુવિધા પૂરી પાડી હતી.
હાઇવે પર થતા અકસ્માત કરવા માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. જેમાં રોંગ લેન, ઓવર પેસેન્જર અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે. રાજકોટ RTO કચેરીએ માત્ર એક અઠવાડિયામાં જ આ પ્રકારના 210 મેમો ફટકારી દીધા છે. જેના થકી રૂ.8 લાખની આવક થઈ છે. આ દરમિયાન હેવી વ્હીકલ ધારકો ત્રીજી લેનમાં વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવી હતી જેથી નાના વાહન ચાલકોએ વધુ ઓવરટેક ન કરવું પડે અને તેને લીધે અકસ્માતોની ઘટના પણ અટકાવી શકાય. રાજકોટના RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યુ હતુ કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા હાઇવે ઉપર જે અકસ્માતો થઈ રહ્યા છે તથા વાહન ચાલકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે તે બાબતે રોંગ લેન, રોંગ સાઇડ ડ્રાઇવ, HSRP વિનાના જે વાહનો છે ઉપરાંત ઓવર પેસેન્જર વાહનો ચાલે છે ઉપરાંત નોન ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં મુસાફરોની હેરફેર થાય છે તેને ધ્યાનમાં લઈને સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને રાજકોટ આરટીઓ દ્વારા અમદાવાદ, મોરબી, જામનગર અને ગોંડલ સહિતના હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક અઠવાડિયામાં HSRP (હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) વિનાના 35 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોંગ લેનના 120 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરમિટ ભંગ અને ઓવર પેસેન્જરના 55 કેસ કરવામાં આવેલા છે. આ રીતે એક અઠવાડિયામાં 210 મેમો ફટકારવામાં આવ્યા છે અને અંદાજે રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોંગ લેનમાં ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ આવતા હોય છે તેવા વાહન ચાલકોને મેમો આપવામાં આવેલો છે. આ ઉપરાંત ડ્રાઇવરોને સમજ આપવામાં આવી છે કે જે ત્રણ લેન હોય છે. જેમાં પહેલી લેન ઓવરટેક લેન હોય છે. બીજી લેન રેગ્યુલર લેન અને ત્રીજી લેન હેવી વાહનો માટેની હોય છે. જેથી આ નિયમ મુજબ જ તેઓ વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવે છે. શું છે વાહન વ્યવહાર કમિશનરનો પરિપત્ર? ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વાહનોનો ટેક્ષી અથવા મેક્ષી તરીકે ઉપયોગ કરી મુસાફરોનું પરીવહન થતું હોય છે. જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં પણ આવતા હોય છે. આવા વાહનો દ્વારા મુસાફરોનું પરીવહન ખૂબ જ જોખમી છે તેમજ રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહનો ગેરકાયદેસર માઈનિંગ પ્રવૃત્તિ મા સંડોવાયેલા હોય છે. જે માર્ગ સલામતિ માટે માટે પડકારરૂપ છે. આથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોનું ગેરકાયદેસર પરીવહન કરતા વાહનો, રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને ક્વોરી તેમજ અન્ય વિસ્તારમાં પરિવહન કરતા નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ખાસ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવા જણાવવામાં આવે.
ઘરેલુ અને દાંપત્ય સંબંધોમાં સર્જાતા મતભેદોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. ઘણી પરિસ્થિતિઓમાં સમજણ, સંવાદ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા આવા પ્રશ્નોનો અંત લાવી શકાય છે. તે હેતુથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ‘ઉજાશ - એક આશાનું કિરણ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ દામ્પત્યજીવન અને પરિવારીક પ્રશ્નોને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં, સમજદારીપૂર્વક અને નિઃશુલ્ક રીતે ઉકેલવા પ્રયત્ન થાય છે. કચ્છમાં પણ આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આંકડા મુજબ એપ્રિલ 2024થી ઉજાસ પ્રક્રિયા અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ 187 કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 30 પરિવારો વચ્ચે સુખદ સમાધાન નોંધવામાં આવ્યું હતું. 21 વર્ષ ના લગ્નજીવનને અલગ થતાં રોકવામાં આવ્યુંડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિડીયેશન સેન્ટર દ્વારા ઉજાસ પ્રક્રિયાના મધ્યમથી હાલમાં એક પરિવારને વિખેરાતા અટકાવાયો હતો. અરજદાર મહિલાએ ડિસેમ્બર 2025માં અરજી કરી હતી. તેમના પતિને કેફી દ્રવ્યોનું વ્યસન હોવાથી પત્ની અને પોતાના બે સંતાનો સાથે દુર્વ્યવહાર થતો હોવાનું રજૂ થયું હતું. લગ્નજીવનના 20 વર્ષ બાદ મતભેદો ગંભીર બનતા મામલો કોર્ટ સુધી પહોંચતા પહેલા જ તેને ઉજાસ મેટર તરીકે નોંધી બંને પક્ષોને સાંભળીને ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જાન્યુઆરીમાં બંને પક્ષોની સકારાત્મકતાથી સુખદ સમાધાન કરાયું હતું. સમજણ અને મધ્યસ્થીથી સંબંધોમાં ઉજાસ લાવે યોજનાજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ‘ઉજાસ’ યોજના વૈવાહિક વિવાદોના મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે અસરકારક બની રહી છે. આ યોજના હેઠળ દંપતી તેમજ તેઓના પરિવારોને નિશુલ્ક, ગોપનીય અને સમજણભર્યું કાઉન્સેલિંગ સાથે મધ્યસ્થી માર્ગદર્શન અપાય છે. અહી થયેલું સમાધાન કાનૂની માન્યતા ધરાવતું હોવાથી લાંબી પ્રક્રિયા વિના જ વિવાદનો ઉલેક શક્ય બને છે.
ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી:લાકડીયા, મુન્દ્રા અને ખાવડામાં રોયલ્ટી પાસ વગરના 9 ડમ્પરોને પકડી લેવાયા
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા બે દિવસ દરમ્યાન ત્રણ અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 9 ડમ્પરો પકડી લેવામાં આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા ભચાઉ તાલુકાના લાકડીયા પંથકમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ 6 ડમ્પરો પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં 2 ડમ્પર સાદી રેતી, 2 ડમ્પર ચાઈનાક્લે, 1 ડમ્પર સાદી માટી અને 1 ડમ્પર કિંમતી લિગ્નાઈટ ખનીજનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોને લાકડીયા પોલીસ સ્ટેશનના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત મુન્દ્રા શહેરની ભુખી નદી વિસ્તારમાં દરોડો પાડી સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન કરતું 1 ડમ્પર ઝડપી પાડી મુન્દ્રા પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ ફ્લાઈંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો હતો. અહીંથી મોરમ ખનીજ ભરેલા 2 ડમ્પરો ઓવરલોડ હાલતમાં ઝડપાતા તેને ખાવડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે.
કર વસૂલાત:સુધરાઈની હાલ સુધીની 16 કરોડની વસૂલાત, 12 દી’માં વધુ 4 કરોડનું લક્ષ્ય
ભુજ શહેરમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડતી ભુજ નગરપાલિકાની આવકમાં છેલ્લા પાંચ વર્ષથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ ઉપરાંત નગરપાલિકા પોતાની આવક મુખ્યત્વે વિવિધ કર મારફતે પ્રાપ્ત કરે છે. સુધરાઈ વિભાગના સ્ટાફ દ્વારા સમયસર અને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી કર વસુલાત ઝુંબેશને કારણે મિલકત કર, પાણી, ગટર, સફાઈ અને દીવાબત્તી જેવા કરોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં 17 માર્ચ સુધી નગરપાલિકાની કુલ આવક 16 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જેમાંથી અંદાજે 13.67 કરોડ રૂપિયા મિલકત, પાણી, ડ્રેનેજ, સફાઈ અને દીવાબત્તી કર તેમજ શિક્ષણ ઉપકર તરીકે વસુલાયા છે. જ્યારે 1.80 કરોડ રૂપિયા વ્યવસાય વેરા રૂપે મળ્યા છે. ટેક્સ બ્રાન્ચના હેડ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી કુલ 20 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અને તે હાંસલ થવાની શક્યતા છે. નગરપાલિકા દ્વારા બાકીદારોને નિયમિત રીતે રસીદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે લોકો સમયસર કર ચૂકવવામાં વધુ સજાગ બન્યા છે. ખાસ કરીને 2022-23થી અમલમાં આવેલા નિયમ મુજબ 31 માર્ચ બાદ કર ભરનાર પાસેથી 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે, જેના કારણે સમયસર ચુકવણી કરનારાઓની સંખ્યા વધતી જાય છે. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પણ નાગરિકોને વધુમાં વધુ કર સમયસર ભરવા અપીલ કરી છે. લોકોને સુવિધા મળે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ બપોરે 1:30 વાગ્યા સુધી કર વસુલાત કચેરીઓ ચાલુ રાખવામાં આવી રહી છે. ભુજ શહેરમાં કુલ 44 હજારથી વધુ મિલકતો છે, જેમાંથી 30 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ પ્રોપર્ટી છે. છેલ્લા ચાર વર્ષમાં ભુજવાસીઓએ નગરપાલિકાને વિવિધ સુવિધાઓ માટે અંદાજે 85 કરોડ રૂપિયાથી વધુનો કર ચૂકવ્યો છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
કચ્છ જિલ્લા કલેક્ટર અને વિવિધ વિસ્તાર વિકાસ સત્તામંડળોના ચેરમેન આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રથમ વખત બજેટ આધારિત માઈક્રો પ્લાનિંગ અમલમાં મૂકવામાં આવ્યું છે. વર્ષ 2026-27 માટે ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ સહિતના સત્તામંડળોના બજેટને સર્વાનુમતે મંજૂરી અપાઈ છે, જેમાં વહીવટી ખર્ચ કરતા વિકાસલક્ષી કાર્યોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી માટે રૂ. 2510 લાખનું બજેટ મંજૂર થયું છે. જેમાં બાગ-બગીચા વિકાસ માટે રૂ. 50 લાખ, નવી ટી.પી. સ્કીમ માટે રૂ. 12 લાખ અને દ્વિતીય ડીપી પ્લાન માટે રૂ. 110 લાખ ફાળવાયા છે. પીવાના પાણી માટે રૂ. 607 લાખ, ભુજ ડ્રેનેજ માટે રૂ. 515 લાખ અને માધાપર માટે રૂ. 250 લાખની જોગવાઈ સાથે સ્ટ્રીટ લાઈટ અને આઈકોનિક રોડ-સર્કલ માટે રૂ. 125 લાખ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 380 લાખ ફાળવાયા છે. ભચાઉ વિકાસ સત્તામંડળ માટે રૂ. 162.30 લાખના બજેટમાં ચિલ્ડ્રન પાર્કના પુનઃવિકાસ માટે રૂ. 50 લાખનો સમાવેશ થયો છે. રાપર માટે રૂ. 141.64 લાખના બજેટમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રૂ. 50 લાખના ખર્ચે આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. કચ્છના શહેરો માટે ફાળવાયેલ બજેટ ભુજ શહેરને મળશે આ નવી સુવિધાઓભુજ શહેરના બાગ બગીચાઓના વિકાસ માટે રિલોકેશન સાઈટના અનામત પ્લોટમાં 5 નવા ગાર્ડન વિકસાવવામાં આવશે.પીવાના પાણીની સુવિધા માટે ભુજ શહેરમાં વોર્ડ નં. 1, 7, 8, 9 અને 11 તેમજ GIDC વિસ્તારમાં નર્મદા વોટર સંપ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવા કામો કરાશે.આ સાથે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે. શહેરના સુશોભન માટે ભાડા દ્વારા ભુજમાં આઈકોનિક રોડ અને સર્કલનું નિર્માણ કરાશે જેમાં 'ભાડા આઈકોનિક રોડ'' (રૂ. 100 લાખ) અને 'ભાડા સર્કલ'' (રૂ. 25 લાખ) ના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા છે. રિલોકેશન સાઈટ ખાતે સ્પોર્ટ કોમ્પલેક્ષના 85% કામ માટે રૂ.380 લાખ ફાળવાયા છે. રાપર માટે રૂ. 141.64 લાખના બજેટમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રૂ. 50 લાખના ખર્ચે આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. અંજાર વિકાસ સત્તામંડળ માટે રૂ. 2392 લાખનું બજેટ મંજૂર થયું છે. જેમાં સ્ટેડિયમ ફેઝ-1 માટે રૂ. 207 લાખ, મેમોરિયલ પાર્ક માટે રૂ. 50 લાખ, બગીચા વિકાસ માટે રૂ. 25 લાખ, ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ માટે રૂ. 15 લાખ અને ટી.પી. સ્કીમ તથા અન્ય વિકાસ કાર્યો માટે રૂ. 50 લાખ ફાળવાયા છે. ગાંધીધામ વિકાસ સત્તામંડળનું આશરે રૂ. 72 કરોડનું બજેટ મંજૂર થયું છે, જેમાં મહાનગરપાલિકાને રૂ. 30 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. આથી આઈકોનિક રોડ, ગ્રીન સ્પેસ, વોટર સપ્લાય, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા કામો હાથ ધરાશે. GDAના નવા બિલ્ડિંગ માટે રૂ. 1.17 કરોડ ફાળવાયા છે. કલેક્ટરના નેતૃત્વમાં પ્રથમ વખત જિલ્લાના વિકાસ સત્તામંડળોમાં બજેટ આધારિત આયોજન
બોર્ડ પરીક્ષા પૂર્ણ:21 દિવસના લાંબા શિડ્યુલ બાદ છાત્રોના ચહેરા પર ખુશી
કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પુર્ણ થઈ છે. 21 દિવસ સુધી ચાલેલી આ લાંબી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા પખવાડિયામાં પૂર્ણ થતી હોય છે, પરંતુ આ વર્ષે શિડ્યુલ લાંબુ ચાલતા ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ અને પરીક્ષાની કામગીરીમાં જોડાયેલો સ્ટાફ પણ થાક અનુભવી રહ્યો હતો. જોકે, અંતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરીક્ષાના છેલ્લા દિવસે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું, જેમાં કચ્છ જિલ્લામાં કુલ 23,334 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 611 પરીક્ષાર્થી ગેરહાજર નોંધાયા હતા. બીજી તરફ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસના વિષય સાથે પરીક્ષા પૂર્ણ થઈ હતી, જેમાં 1102 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 49 ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા સોમવારે જ પૂર્ણ થઈ હતી. આજથી બોર્ડના પેપર તપાસવાની કામગીરીનો પ્રારંભ થશે. ભુજ, અંજાર અને ગાંધીધામ એમ ત્રણ સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો કાર્યરત કરાયા છે. અગાઉથી નિમણૂક પામેલા શિક્ષકો આ કેન્દ્રો પર હાજર થઈને ઉત્તરવહી તપાસવાની જવાબદારી સંભાળશે. આ સાથે વિદ્યાર્થીઓ વેકેશનની મજા માણવા સજ્જ થયા છે.
બેરોજગારીનો અરીસો:: ભુજમાં 112 જનરક્ષકના ડ્રાઈવરની ભરતીમાં ઉમેદવારો ઉમટતા વ્યવસ્થા ખોરવાઇ
રાજ્યમાં રોજગારીની શોધમાં ભટકી રહેલા યુવાનોની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો જીવંત પુરાવો બુધવારે ભુજ મધ્યે જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના 112 ઈમરજન્સી જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ડ્રાઇવરોની ભરતી માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આવેલી 108ની કચેરીએ ઇન્ટરવ્યૂ રખાયા હતા. જોકે સવારે ઉમેદવારોએ ડખો કરતા થોડીવાર માટે અજંપાભરી સ્થિતિ પેદા થઈ હતી. તંત્રની ગણતરી કરતા ચાર ગણા ઉમેદવારો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઇ હતી. આ ભરતીમાં ભાગ લેવા માત્ર કચ્છ નહીં પરંતુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ-થરાદ, દાહોદ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ભુજ પહોંચ્યા હતા. સવારથી ઉમેદવારોની લાંબી લાઈનો લાગી હતી, પરંતુ તંત્ર દ્વારા એવું જણાવાયું કે બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ અને મહેસાણાના ઉમેદવારો લાઈનમાંથી નીકળી જાય અને માત્ર કચ્છ તથા સુરેન્દ્રનગરના ઉમેદવારો જ ઉભા રહે. આ સાંભળતા અન્ય જિલ્લાના યુવાનોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. દિયોદર અને વડગામથી આવેલા યુવાનોએ આક્ષેપ કર્યો કે, સત્તાવાર જાહેરાતમાં ક્યાંય પણ જિલ્લાનો બાધ રખાયો ન હતો અને કોઈ પણ કેન્દ્ર પર ઇન્ટરવ્યૂ આપી શકાશે તેવી ખાતરી અપાઈ હતી, છતાં અહીં આવ્યા બાદ અન્યાય કરાયો છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ અંગે સત્તાવાર અધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 112 જનરક્ષક પ્રોજેક્ટ માટે ભુજમાં પ્રથમ વખત આ પ્રકારે ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે 108 એમ્બ્યુલન્સની ભરતીમાં 60 થી 70 જેટલા ઉમેદવારો આવતા હોય છે, પરંતુ આ વખતે અચાનક 300થી વધુ યુવાનો ઉમટી પડતા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી.તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ સ્વીકારી લેવાયા છે અને ચકાસણી કરીને મુખ્ય કચેરીએ મોકલવામાં આવશે.
નીરવ મોદીની યુકે પ્રત્યાર્પણ કેસ ફરી ખોલવાની અરજી
ભારતમાં અત્યાચારના જોખમનું બહાનુ આગળ ધરીને ભારતની બેન્કો સાથે છેતરપિંડીના આરોપી નીરવ મોદીને પૂછપરછ દરમ્યાન સતામણી થવાનો ભય ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદીની લંડન હાઈ કોર્ટમાં ભારતમાં તેની પ્રત્યાર્પણ અપીલ ફરી ખોલવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી પૂરી થઈ છે. તેની કાનૂની ટીમે દલીલ કરી છે કે ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમ્યાન તેના પર અત્યાચારનું અથવા અમાનવીય વ્યવહારનું જોખમ રહેલંી છે. પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કેસમાં આશરે બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરીંગમાં કથિત સંડોવણી માટે ભારતમાં તેઓ વોન્ટેડ છે.
નેતાઓનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત બળાત્કાર કેસમાં ઝડપાયોઃ 58 વિડીયો મળ્યા
ખરાતના ક્લાયન્ટ લિસ્ટમાં અનેક નેતા, સેલિબ્રિટીઓ ખરાતે એક મહિલાને નશીલું પીણું પીવડાવી તથા મંત્રતંત્રની ધમકીઓ આપી ૩ વર્ષ સુધી વારંવાર બળાત્કાર ગુજાર્યો ખારત સિન્નરનાં ઈશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો અધ્યક્ષઃ શિંદે સહિતના નેતાઓ સાથેની તસવીરો વાયરલ થઈ મુંબઈ - મહારાષ્ટ્રના નાસિકમાં એક મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયા બાદ અનેક રાજકીય નેતાઓ તથા સેલિબ્રિટીેના હાઈ પ્રોફાઈલ જ્યોતિષી બની ગયેલા અને પોતાને કેપ્ટન તરીકે ઓળખાવતા અશોક ખરાતની સતત ત્રણ વર્ષ સુધી એક મહિલા પર બળાત્કાર માટે ધરપકડ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખરાતના ક્લાયન્ટના લિસ્ટમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિતના નેતાઓ સામેલ હોવાનું કહેવાય છે. ખરાતની પેનડ્રાઈવમાંથી ૫૮ વિડીયો મળ્યા છે તેમાં કેટલીક વાંધાજનક ક્લિપ્સ હોવાનું પણ કહેવાય છે.
1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરાઈ:800 મીટર દોડ, સ્ટ્રેચિંગ, વર્ટિકલ જમ્પથી ખેલાડીઓની શક્તિ પરખાઇ
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાના ‘બેટરી ટેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરવામાં આવી હતી. આ બેટરી ટેસ્ટ દ્વારા પસંદ થયેલા ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટ્સ સ્કૂલોમાંશિક્ષણની સાથે સાથે પ્રોફેશનલ રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. શારીરિક ક્ષમતા માપવા માટે 800 મીટર દોડ, વર્ટિકલ જમ્પ, સ્ટ્રેચિંગ સહિતના 7 જેવા ટેસ્ટ લઇ તેમની કસોટી લેવામાં આવી હતી.
ગ્લોબલ રિસાયક્લિંગ ડે નિમિત્તે કચરેથી આઝાદી ફાઉન્ડેશન દ્વારા શાળા, સોસાયટી અને ગામોમાં વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોમાં કચરા વિભાજન, રિસાઇકલિંગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે દરમ્યાન ફાઉન્ડેશન દ્વારા 400 કિલોગ્રામથી વધુ ઈ-વેસ્ટ તેમજ 2 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો. એકત્રિત થયેલા કચરાનું યોગ્ય રીતે સંચાલન કરી પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ, નાગરિકો અને ગ્રામજનોને કચરાના વિવિધ પ્રકાર વિશે માહિતગાર કરી, રિસાયક્લિંગનો ઉપયોગ વધારી કચરેથી આઝાદી ફાઉન્ડેશન સતત પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે કાર્યરત રહી આવી પહેલો મોટા બદલાવ તરફનું એક પગલું છે. જેનાથી લોકોમાં જાગૃતિ લાવી શકાય છે. તેમ કચરે સે આઝાદીના સુનિત ડબકેએ જણાવ્યું હતું. કચરાને બદલે સોસાયટીમાં 18 ફ્રી બેન્ચનું વિતરણફાઉન્ડેશન દ્વારા ‘150 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો આપો અને 1 બેચ મફત મેળવો’ યોજનાના હેઠળ વિવિધ સોસાયટીને કુલ 18 બેચનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે લોકોમાં પ્રોત્સાહન વધારવાનું ઉત્તમ ઉદાહરણ સાબીત થયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શહેરમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ છે, જોકે ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ઉજાલા સર્કલ અને વણઝર વિસ્તારમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. હવામાં ઉડેલી ધૂળની ડમરીઓને લીધે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેજ પવન અને ધૂળિયા વાતાવરણની અસર વીજ સેવા પર પણ પડી છે. ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે લાઈટો ગુલ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આશરે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે ગરમીમાં રાહત મળી છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં આગામી 3 કલાક ભારે, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટ મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની (5-15 mm/hr) આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને 30 થી 60 ટકા જેટલી વીજળી પડવાની સંભાવના પણ છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે હળવો વરસાદ (5 mm/hr થી ઓછો) થવાની શક્યતા છે. અહીં પવનની ગતિ 40 કિલોમીટરથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા 30 ટકાથી ઓછી છે. 20 માર્ચ બાદ વાતાવરણ થશે ચોખ્ખું 19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.
અમેરિકન જાસૂસી સંસ્થા CIA:અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર નજર રાખે છે
કહેવાય છે કે પહેલાના જમાનામાં રાજા ગુપ્ત વેશે રાત્રે નગરની મુલાકાત લઇ નગરમાં શું ચાલી રહ્યું છે, રાજા વિશે કે એમની રીત ભાત વિશે શું ચર્ચાઓ ચાલે છે તેની માહિતી ભેગી કરી, પ્રજાના હિતમાં કામ કરતા. આપણા લોક ગ્રંથ રામાયણમાં સીતાજીનો રાજા રામ દ્વારા કરાયેલો ત્યાગ આવી જ એક નગરચર્ચાને આધારિત છે એ જાણીતી વાત છે. હવેના જમાનામાં પ્રજાજનો તો ઠીક જે તે દેશના રાજા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા નેતાઓથી લઇને કોઇપણ, કોઇને કોઇ ટેક્નોલોજી દ્વારા સતત દુશ્મન દેશો, કંપનીઓ, જે-તે દેશની સરકાર દ્વારા, કોઇ વ્યક્તિ કે પછી જે-તે દેશની જાસૂસી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા કારણોસર કે કોઇ કારણ વગર પણ સર્વેલન્સ હેઠળ હોય છે અને સેટેલાઇટ, ઇન્ટરનેટ, સર્વેલન્સ કેમેરા જેવી ટેકનોલોજીને કારણે જાસૂસીનું કામ સરળ પણ થઇ ગયું છે. આ ગુરુવારે 2025 માં ધમાલ મચાવનારી ફિલ્મ મેકર આદિત્ય ધારની ધુરંધર ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. જે પણ એક જાસૂસની કથા પર આધારિત છે. સલામતી અને તાકાત માટે જાસૂસી સંસ્થા પર આધારકહેવાય છે કે કોઇપણ દેશની સલામતી અને તાકાત એ દેશની સરકારની નજર હેઠળ કે સ્વતંત્ર રીતે ચાલતી અને સરકારને માહિતી પહોંચાડતી જાસૂસી સંસ્થાઓ પર ઘણો મોટો આધાર રાખે છે. ભારતની રો, રશિયાની KGB, બ્રિટનની MI 6, ઇઝરાયલની મોસાદ કે અમેરિકાની CIA જેવી સંસ્થાઓ તેના મોટા ઉદાહરણ છે. એમાં પણ અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના ઉદભવ, એનું કારણ, એની કામગીરી, એની સાથે સંકળાયેલા લોકો વિશે એટલી બધી દંતકથાઓ, અફવાઓ અને કુતૂહલતા એનું અસ્તિત્વ 1947માં આવ્યું ત્યારથી લોકોમાં ચાલે છે. શીતયુદ્ધના કારણે CIA અસ્તિત્વમાં આવીNational Security Act of 1947 દ્વારા શીતયુદ્ધ (કોલ્ડવોર)ની આજુબાજુના સમયમાં અમેરિકાને લાગ્યું કે વિશ્વમાં વધતા રાજકીય અને સૈન્ય સંકટોને ધ્યાનમાં રાખીને એક શક્તિશાળી ગુપ્તચર સંસ્થા હોવી જરૂરી છે એ કારણસર અસ્તિત્વમાં આવી CIA. કોલ્ડ વોરના સમય દરમિયાન અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે રાજકીય અને ગુપ્તચર સ્પર્ધા હતી. હાલનું રશિયા અને એ વખતનું સોવિયેત યુનિયન અને બીજા કેટલાક દેશો CIA એ જાસૂસી કામગીરી ચલાવી હતી. આગળ કહ્યું એમ આજની જેમ એ વખતે પણ માહિતી કોઇ પણ યુદ્ધ જીતવા માટે અગત્યની ચાવી હતી. ચાણક્યનીતિ પણ કહે છે કે યુદ્ધની વ્યૂહરચના દુશ્મનની હિલચાલની અંદરની માહિતી આધારિત ઘડાતી હોય છે. જેની પાસે દુશ્મન દેશની જેટલી વધારે માહિતી એટલી એ દેશની યુદ્ધ જીતવાની શક્યતા વધારે. હાલના સમયમાં CIAનું મહત્વ વધ્યુંહાલના સમયમાં CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)નું મહત્વ આતંકવાદ, સાયબર યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઇ છે. 9/11ના હુમલા પછી સમીકરણો બદલાયાએમાંય 9/11ના અમેરિકામાં થયેલા મોટા ત્રાસવાદી હુમલા પછી દુનિયા આખીમાં સુરક્ષા અને સલામતીના સમીકરણો બદલાઇ ગયા છે. ખાસ કરીને વિશ્વમાં સુપર પાવર તરીકે ઓળખાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. આતંકવાદથી ગ્રસ્ત દેશોને પોતાની સુરક્ષા માટે કરોડો ડોલર્સનું બજેટ ફાળવવું પડે છે. એવામાં CIA અન્ય દેશોની રાજકીય, આર્થિક, વિશ્વભરના આતંકવાદી સંગઠનો અને સૈન્ય પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરે છે. આ માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ અને સરકારને મહત્વપૂર્ણ નીતિ અને સુરક્ષા સંબંધિત નિર્ણય લેવા માટે મદદ કરે છે. અત્યારના સમયમાં યુદ્ધ તીર કામઠાં, તલવારો કે ફક્ત બંદૂક કે તોપ દ્વારા નથી લડાતું પણ જે-તે દેશની સુરક્ષાને લગતી કમ્પ્યુટર સિસ્ટમને સાયબર એટેક દ્વારા ઠપ્પ કરી નાખવી, ડેટા ચોરી લેવો, એ ડેટાનો ઉપયોગ પ્રોક્સી કે ડાયરેક્ટ યુદ્ધમાં માટે કરવો જેવી અવનવી ટેક્નિકથી પણ લડવામાં આવે છે. ગુપ્ત નેટવર્ક પર નજરએવે વખતે CIA અન્ય દેશો અને હેકિંગ ગ્રુપ્સ તરફથી થતાં સાયબર હુમલાઓ વિશે માહિતી એકત્રિત કરીને અમેરિકાની સુરક્ષા અને ઘણી વખત એ માહિતી બીજા દેશો સાથે વહેંચીને આતંકવાદ સામે લડવા માટે કામ કરે છે. એમાં CIA જેવી સંસ્થાઓને આધુનિક ટેકનોલોજી, સેટેલાઇટ અને એના દ્વારા ડેટા વિશ્લેષણ અસરકારક રીતે માહિતી ભેગી કરવામાં મદદ કરે છે. અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર પણ નજર રાખે છે જે એને કદાચ સુપર પાવરનું સ્ટેટસ જાળવવામાં મદદ કરે છે. 9/11 ના માસ્ટર માઇન્ડ ગણાતા અલ-કાયદાના ઓસામા બિન લાદેનને Operation Neptune Spear હેઠળ મારી નાખવામાં અત્યંત અગત્યની કામગીરી નિભાવનાર અમેરિકન જાસૂસી સંસ્થા CIAની કેટલીક ગુપ્ત કામગીરી આંતરરાષ્ટ્રીય કાયદા અને નૈતિકતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. છતાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં CIA ને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. HBOના અત્યંત લોકપ્રિય શો 'ગેમ ઓફ થ્રોન'માં એક સંવાદ છે જે યાદદાસ્ત પરથી લખ્યો છે. માણસ ઘરને સુરક્ષિત રાખવા વાડ બનાવે એટલે બીજા માણસને એ વાડની પેલે પાર શું ચાલી રહ્યું છે એની ઉત્સુકતા થાય જ. ઉત્સુકતા સુધી ઠીક હતું પણ હવે એ લાગણી, ઇર્ષ્યા, સ્પર્ધા અને એ માણસને ખતમ કરવા સુધી પહોંચી ગઇ છે ત્યારે, એ માણસે (દેશે) પોતાના ઘરની વાડની સુરક્ષા વધારવા સિવાય છૂટકો નથી જ!
યંગ ઇન્ડિન્સ દ્વારા ‘નમામી નર્મદે’ અભિયાન અંતર્ગત ચેન્જમેકર્સ મીટ યોજાઈ હતી. જે થકી નર્મદા પરિક્રમા માર્ગ પર પર્યાવરણ જાગૃતિનું અનોખું ઉદાહરણ જોવા મળશે. 6 વર્ષના બાળકથી લઈને 55 વર્ષના યુવાનો અને વયસ્કો સુધીના લગભગ 45–50 સભ્યોનું ગ્રુપ આ વર્ષે અભિયાનમાં જોડાયા છે. ઉદ્યોગસાહસિકો, ડોક્ટરો, નેચર લવર્સ, ફાઇનાન્સ પ્રોફેશનલ્સ અને કોલેજ સ્ટુડન્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રના લોકો સાથે મળી આ પહેલને આગળ વધારી રહ્યા છે. આ ટીમ દ્વારા 110 સીડ બોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેને ‘યંગ ઇન્ડિયન્સ’ના સભ્યો નર્મદા પરિક્રમા દરમિયાન માર્ગની બાજુઓ પર જાતે જ વાવશે. ખાસ વાત એ છે કે આ સીડ બોલ્સ સામાન્ય પરિક્રમાવાસીઓને આપવામાં નહીં આવે, કારણ કે યોગ્ય રીતથી વાવણી માટે તાલીમ જરૂરી છે. તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એકત્ર કરાયેલા કચરાને ગત વર્ષની જેમ રિયાસકલિંગ માટે અપી નર્મદા નદીને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવશે. તેમ યંગ ઇન્ડિયન્સના અર્પિતા શાહ, ખ્યાતિ ઠક્કર સહિત સમગ્ર ટીમે જણાવ્યું હતું. પરિક્રમાના રૂટ પર નર્મદા પરિક્રમા એન્થમ વગાડાશેયંગ ઇન્ડિયન્સ દ્વારા નર્મદા પરિક્રમા એન્થમ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી તેઓ દ્વારા નર્મદા જિલ્લાના પરિક્રમા રૂટ પર આવતા રામપુરા, તિલકવાડા તાલુકા સહિતના 10થી વધુ ગામોના સરપંચો અને પ્રશાસન સાથે ખાસ અપીલ કરવામાં આવી હતી કે, નર્મદા પરિક્રમા એન્થમ ‘ચલો મળી સંકલ્પ કરીએ, પ્લાસ્ટીક ફ્રી નર્મદા કરીએ’ રૂટ પર આવકા ગામડા, મંદિર, વિશ્રામગૃહ સહિતના દરેક સ્થળોએ વગાડવામાં આવે અને તેનાથી લોકોને વધુમાં વધુ પ્રેરણા મળી શકે છે. ‘નમામી નર્મદે’ હવે માત્ર અભિયાન નહીં, પરંતુ યંગ ઇન્ડિયન્સનું એક જનઆંદોલનપર્યાવરણપ્રેમીઓ, ડોક્ટરો, ઇન્ફ્લુએન્સર્સ અને સરકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો. મીટમાં નર્મદા પરિક્રમાની આધ્યાત્મિક મહત્તા સમજાવવામાં આવી. ત્યારબાદ નિષ્ણાતોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને માઇક્રોપ્લાસ્ટિકના આરોગ્ય પર પડતા પ્રભાવ વિશે માહિતી આપી. પર્યાવરણ કાર્યકરોએ નદી પ્રદૂષણ અને કચરા વ્યવસ્થાપન અંગે વાસ્તવિક સ્થિતિ રજૂ કરી. નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સહકારથી કચરા વ્યવસ્થાપન સુધારવા અને પરિક્રમા માર્ગ સ્વચ્છ રાખવા પ્રયાસો ચાલી રહ્યા છે. યંગ ઇન્ડિયન્સ વડોદરાએ સ્થાનિક પંચાયત અને વેન્ડરો સાથે મળીને સ્ટીલ જેવા વિકલ્પો અપનાવવા પર ભાર મૂક્યો હતો. ‘નમામી નર્મદે’ હવે માત્ર અભિયાન નહીં, પરંતુ એક જનઆંદોલન બની રહ્યું છે.
છેડતીનો મામલો:એજન્સી પાસેથી ક્રેટા ભાડે લઈને પરત ન કરી ગઠિયાએ ઠગાઇ કરી
ફતેગંજની વીવીઆઈપી કાર રેન્ટલ પાસેથી ક્રેટા કાર ભાડે લઈ જઈને ભેજાબાજે પરત કરી છેતરપિંડી કરી હતી. ત્યારે જે.પી રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ બીસી મિસ્ત્રી કમ્પાઉન્ડ ખાતે રહેતા નુરુલહક્ક જાહેદભાી ચૌહાણ વીવીઆઈપી કાર રેન્ટલ નામથી ફોર વ્હીલર ગાડી ભાડે અપાવવાનું કામ કરે છે. વીવીઆઈપી કાર રેન્ટલ જુમ કાર તથા હોસ્ટ એપ્લિકેશનમાં રજીસ્ટર કર્યું હતું. નુરૂલહક્કે ક્રેટા કાર ખરીદી હતી. ત્યારે તાંદલજા શાંતિવન સોસાયટી ખાતે રહેતા આતાઉર રહેમાન શાકિર મેમણ અગાઉ નુરુલહક્ક પાસેથી કાર ભાડેથી લઈ જતો હતો અને સમયસર પરત આપી જતો હતો. તા.5 ફેબ્રુઆરીએ આતાઉરે ફોન કરીને જણાવ્યું હતું કે, મારે પરિવાર સાથે ડભોઈ જવું છે. જેથી કોઈ ડીઝલ કાર પાંચ દિવસ માટે ભાડેથી જોઈએ છે. ત્યારે નુરુલહક્કે રૂ.5 હજારના ભાડે આતાઉરને ક્રેટા કાર આપી હતી. જોકે ત્યારે આતાઉરે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પણ નુરુલહક્કને આપ્યા હતા. સાથે જ તેને રૂ.10 હજાર એડવાન્સ, તથા રૂ.10 હજાર ડિપોઝિટ પેટે આપ્યા હતા. જોકે ત્યાર બાદ આતાઉર તા.10 ફેબ્રુઆરીએ કાર પરત આપવાનો હતો. જેને પગલે નુરુલહક્કે જીપીએસ તપાસ્યું હતું. જેમાં કાર બોડેલી નજીક જણાઈ હતી. આતાઉર કહેતો હતો કે, તમારી કાર બીજાને આપી છે. થોડા દિવસમાં તમને પરત મળી જશે. જોકે ત્યારબાદ આતાઉર ખોટા વાયદા કરતો રહ્યો હતો. પરંતુ તેને કાર પરત કરી નહોતી. ત્યારે જે.પી રોડ પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ભાડે લઇને ઠગાઇ કરતા ગઠીયાઓ મોટી સંખ્યામાં સક્રિય થયાં છે. ત્યારે પોલીસ સામે પણ આવા ભેજાબાજોને પકડવાની નવી ચેલેન્જ ઉભી થઇ છે. ભાસ્કર ઇનસાઇડકારને જીપીએસથી લોક કરી દેવાઈ, જોકે ભેજાબાજ તેના પછી કારને ટો કરીને મધ્યપ્રદેશ બાજુ લઈ ગયોકાર પરત ન મળતા નુરુલહક્કે તેને જીપીએસ સિસ્ટમથી લોક કરી દીધી હતી. જોકે કાર સ્થળ પરથી હલતા નહીં, તેને ટો કરીને લઈ જવાઈ હતી. કારને મધ્યપ્રદેશ તરફ લઈ જવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યાં નેટવર્ક ન મળતા જીપીએસ પણ કામ કરતું નહોતું. ત્યારે કારનું જીપીએસ કાઢીને કોઈને કાર આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. નુરુલહક્કે સમગ્ર મામલે 10 ફેબ્રુઆરીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે એક મહિના બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
દુષ્કર્મના મામલે સજા ફટકારી:સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદ
શહેર નજીકના ગામમાં સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ખાસ પોક્સો અદાલતે આરોપીને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ભોગ બનેલી સગીરાને વળતર આપવાનો આદેશ કર્યો છે. એક વર્ષ અગાઉ 14 વર્ષની સગીરાને ભગાડી જવાનો ગુનો જવાહરનગર પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં સગીરાના પિતાએ પુત્રીને કોઈ યુવક ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગેની ફરિયાદ બાદ પાંચમા દિવસે પોલીસે સગીરાને શોધી કાઢી હતી. બાદમાં પિતા સમક્ષ નિલેશ સોલંકી ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાની તબીબી ચકાસણી કરાવતાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ ભેગો કરાયો હતો. મામલાની સુનાવણી ખાસ પોક્સો અને એડિ. સેશન્સ કોર્ટમાં ચાલી હતી. જેમાં સરકારી વકીલ પી.સી.પટેલે કરેલી દલીલોને ધ્યાનમાં લઈ જજ એસ.એન. સોલંકીએ આરોપીને સજા ફટકારી હતી.
બોર્ડની પરીક્ષા:ધો.10ના સામાજિક વિજ્ઞાનમાં આતંકવાદની અસરો તથા ખજૂરાહો વિષયે સવાલ પૂછાયો
ધો.10 એસએસસી-ધો 12 એચએસસી બોર્ડની પરીક્ષા બુધવારે પૂરી થઇ હતી. ધો.10ના 11 અને 12ના 8 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 2 હજાર શિક્ષકો ગુરુવારથી ઉત્તરવહી ચકાસણી શરૂ કરશે. ધોરણ 10માં સમાજીક વિજ્ઞાનના છેલ્લા પેપરમાં આતંકવાદની અસરોનો તથા ખજુરાહોનો સવાલ પૂછાયા હતા. ધો.10માં સમાજીક વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 39877 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 39350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 527 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસનું પેપર હતું. જેમાં કુલ 369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 19 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે. ગુરુવારથી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરૂ કરાશે. જેમાં ધો.10ના 11 અને 12ના 8 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 2 હજાર શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરશે. કુલ 19 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહી ચકાસણી કરવામાં આવનાર છે. મૂલ્યાંકન કેન્દ્રો પર 100 થી 125 જેટલા શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરશે. તમામ કામગીરી સીસીટીવી સર્વેલન્સ હેઠળ હાથ ધરવામાં આવશે. સતત 8 કલાક સુધી ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવાની રહેશે. દરેક કેન્દ્ર પર 25 હજાર જેટલી ઉત્તરવહી બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. બોર્ડ દ્વારા 10 દિવસના સમયગાળામાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરામાં 19 મૂલ્યાંકન કેન્દ્રો પર અંદાજિત 4,75,000 જેટલી ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડસરની કામગીરી બાદ ઉત્તરવહી ચકાસણી, ત્યારબાદ શિક્ષકો વસ્તી ગણતરીમાં અને પછી ચૂંટણીની કામગીરીમાં જોતરાશે બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી 10 દિવસ ચાલશે. ત્યારબાદ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાં લગાડવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ શિક્ષકોને કામગીરી કરવી પડશે. નવેમ્બર ડિસેમ્બર મહિનાથી શિક્ષકો સરની કામગીરીમાં લાગેલા હતા. ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની સંખ્યા ઘટી રહી છે અને વર્કલોડ વધી રહ્યો છે. ભાસ્કર એક્સપર્ટવલભી વિદ્યાપીઠનો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાયોસામાજિક વિજ્ઞાનનું ધો.10નું પેપર ધાર્યા કરતા સરળ હતું. વિભાગ-સીમાં 40મો પ્રશ્ન વલભી વિદ્યાપીઠનો ટ્વિસ્ટ કરીને પૂછાયો હતો. નકશા સરળ હતા જેમાં રાતી જમીન, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન,ભદ્રાવતી, શણ ઉત્પાદન વિશે પૂછવામાં આવ્યું હતું. ગ્રાહક તરીકે આપણી ફરજ અને જૈવિક ખેતી તરફના વલણનો પ્રશ્ન હતો. સામાજિક વિજ્ઞાનની ચોપડી વાંચી હોય તો અડચણ આવે તેમ ન હતું. મહિલા સમાનતા માટે ગુજરાત સરકારની યોજના વિશે પુછાયું હતું. - કુંતલ શાહ, વિષય નિષ્ણાત, સામાજિક વિજ્ઞાન ધો.10
ઠગાઈનો મામલો આવ્યો સામે:અકોટાના ઠગે આવાસના નકલી લેટર આપી 16 લોકોના 40.17 લાખ ઠગ્યા
પાલિકાના એજન્ટ તરીકે ઓળખ આપી અકોટા ગામના ઠગે 16 લોકોના પીએમ આવાસના મકાન અપાવવાના બહાને પાલિકાના જ સહી-સિક્કાવાળા બોગસ લેટર આપી 40.17 લાખ ઠગતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે. સમતા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકને હરીશે કહ્યું હતું કે, તે વડોદરા મહાનગર પાલિકામાં એજન્ટ છે અને પીએમ આવાસ યોજનાના મકાન અપાવે છે અને સુભાનપુરા ઝાંસી રેસિડેન્સીના બે ફ્લેટ અપાવવાનું કહ્યું હતું. જોકે ફ્લેટ જોવા જવા કહેતા પહેલાં પ્રોસેસ કરવી પડશે, એલોટમેન્ટ લેટર પછી ફ્લેટ જોવા જવાય તેમ કહ્યું હતું. વર્ષાબેને ફ્લેટ માટે કુલ ~6.83 લાખ હરીશને આપ્યા હતા. હરીશે મકાન માટે અરજી ભર્યા અંગેની પાવતી આપી હતી, જેમાં બે ફ્લેટની ફાળવણી થયાની પાલિકાના સહી સિક્કાવાળી નકલ આપી હતી. ત્યારબાદ ફ્લેટનો કબ્જો આપ્યો નહોતો. બાદમાં તેણે ઓફિસ બંધ કરી દેતાં 16 લોકોના આવાસના બહાને ~40.17 લાખ પડાવ્યાનું બહાર આવ્યું હતું. ગોરવા પોલીસે હરીશની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભાસ્કર ઇનસાઇડહરીશે 16 નહીં 27 લોકોને છેતર્યા, પોતે ફ્લેટ લેવા પ્રોસેસ કર્યો, પાવતી એડિટ કરી છેતર્યાગોરવા પોલીસે 16 લોકો સાથે હરીશ ચૌહાણે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધી હતી. જોકે હરીશે 27થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું અને તેમાં ઠગાઈની રકમ ~60 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. હરીશ લોકોને પાલિકાની બોગસ પાવતી આપીને ઠગતો હતો. હરીશે પોતે મકાન લેવા પ્રોસેસ કરી પાલિકાએ આપેલી પાવતી એડિટ કરીને હરીશ અન્ય લોકોના નામ ઉમેરી છેતરપિંડી કરતો હતો તેમ સુત્રોએ કહ્યું હતું. આ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી
ગાયત્રી પરિવાર દ્વારા 15 માર્ચે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. વસંત પંચમીથી હોળી સુધીના 40 દિવસનું અનુષ્ઠાન કરવાનો સંકલ્પ અનેક ભક્તોએ લીધો હતો. જેની પૂર્ણાહુતિના ભાગરૂપે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા સામૂહિક પૂર્ણાહુતિનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. યજ્ઞનું સંચાલન પ્રજ્ઞા પુત્રી મીનાક્ષીબેન કાબરિયા અને તેમની સંગીત ટોળી દ્વારા કરાયું હતું. 500થી વધારે પરિજનોએ લાભ લીધો હતો. બીજી તરફ 15 જેટલી બહેનોએ ગર્ભ સંસ્કાર કરાવ્યા હતા. ડો.નિરજભાઈએ યુવાનોને સાધનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યજ્ઞમાં 108 ગાયત્રી મહામંત્રની આહુતિ સમર્પિત કરાઈ હતી. કાર્યક્રમનું આયોજન અનિલ રાવલ અને તેમની સુભાનપુરા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

30 C