વડોદરાની એમએસયુના વિદ્યાર્થી સાથે અસભ્ય વર્તન કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલની વડોદરા પોલીસ કમિશનરે તાત્કાલિક બદલીના આદેશ કર્યા છે. વિવાદિત ટ્રાફિક કોન્સ્ટેબલને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ ફરજ પર રહેલા ટીઆરબી જવાનને કાયમી ધોરણે ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પીએસઆઈ અને તેના સ્ટાફે યુવકને રોકીને અસભ્ય વર્તન કર્યું હતુંઆ સમગ્ર ઘટના ગત તારીખ 22 જાન્યુઆરી, 2026ના રોજ કાલાઘોડા સર્કલ પાસે બની હતી. વિદ્યાર્થીના આરોપ મુજબ, ટ્રાફિક પીએસઆઈ અને તેમના સ્ટાફે તેને રોકીને અસભ્ય વર્તન કર્યું હતું. વિદ્યાર્થીને આપવામાં આવેલા ટ્રાફિક મેમોમાં ચહેરા અને વાહન નંબરના બદલે માત્ર હાથનો ફોટો જ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેમોમાં ખોટું સરનામું દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ઉંડેરા વિસ્તારનું સરનામું લખવામાં આવ્યું હતું. ‘3000ની માંગણી કરીને મને ધમકાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા’વિદ્યાર્થીએ વધુમાં આરોપ કર્યો છે કે, પોલીસે તેમના પાવરનો દુરુપયોગ કર્યો હતો. તેમને જેલમાં નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને મોટો કેસ કરવાની વાત કરીને ડરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 3000ની માંગણી કરીને તેમને ધમકાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. ટ્રાફિક કોન્સ્ટેબલની બદલી અને ટીઆરબી જવાન ફરજમુક્ત કરાયોઆ ઘટનામાં સામેલ ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણભાઈ ગોબરભાઈ જોગદીયાને તાત્કાલિક અસરથી પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ કોન્ટેબલ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યો છે. તેઓ કૌશલસિંહ જાટ કેસમાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની તપાસ ડીસીપી ટ્રાફિક પશ્ચિમ રૂષિકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે તપાસનો અહેવાલ 28 જાન્યુઆરી, 2026 પહેલાં રજૂ કરવાની સૂચના આપી છે. તપાસ રિપોર્ટના આધારે જરૂર જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
જૂનાગઢના હાર્દ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર છે. આ સરોવરના નવીનીકરણ પાછળ આશરે 68 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. લોકાર્પણ પૂર્વે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઈનર સંસ્થાએ તૈયાર કર્યો પ્લાન નરસિંહ મહેતા સરોવરની નવીનીકરણ પ્રક્રિયામાં તેની ડિઝાઈન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમદાવાદ અને દિલ્હીના અનેક મહત્વના સ્ટ્રક્ચર્સ ડિઝાઈન કરનાર ખ્યાતનામ સંસ્થા HCP ડિઝાઈન એન્ડ કન્સલ્ટન્સી દ્વારા આ સરોવરનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ઓરિજનલ ડિઝાઈન બાદ અનેક નવી સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો, જેના કારણે કુલ ખર્ચ 68 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. અદ્યતન સુવિધાઓ અને સુરક્ષાનો સમન્વય સરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમાં અનેક સુવિધાઓ ઉમેરાઈ છે.જેમાં સરોવરની ચારેબાજુ વોકિંગ વે બનાવવામાં આવ્યો છે.સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 400 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર તૈયાર કરાયું છે.સરોવરમાં બે આઈલેન્ડ અને સાત જેટલા વ્યુઈંગ ડેક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સરોવરનો નજારો માણી શકાશે.સમગ્ર સંકુલમાં CCTV કેમેરા, પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ અને ઈમરજન્સી માટે પેનિક બટનની સુવિધા પણ આપવામાં આવી છે. શરૂઆતમાં એન્ટ્રી ફ્રી, મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં ફી વસૂલાશે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલમાં લોકો માટે સરોવર નિઃશુલ્ક ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ ઘણો મોટો હોવાથી તેના મેન્ટેનન્સ માટે ભવિષ્યમાં OM (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એજન્સીની નિમણૂક કરવામાં આવશે. તે સમયે મેન્ટેનન્સના ખર્ચને પહોંચી વળવા માટે ચોક્કસ એન્ટ્રી ફી નક્કી કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી તેનું સંચાલન મનપા દ્વારા જ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી બ્યુટીફિકેશનની કામગીરીને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાર્ડન અને મનોરંજનના સાધનોથી સજ્જ આ સરોવર જૂનાગઢના નાગરિકો માટે સાંજના સમયે વિહાર કરવાનું ઉત્તમ સ્થળ બની રહેશે. 28 તારીખે મુખ્યમંત્રીના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગાંધીનગરના લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું મનમોહક સંગમ જોવા મળ્યું. 'રાષ્ટ્રની એકતાનો શક્તિશાળી સંદેશ'રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારત હંમેશા ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ના વિચાર સાથે સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરતો દેશ રહ્યો છે. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉજવણી નહીં, પરંતુ રાષ્ટ્રની એકતાનો શક્તિશાળી સંદેશ છે તેમ તેમણે જણાવ્યું. રાજ્યપાલે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરીતેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નેતાઓ શાસક નહીં પરંતુ સેવક બનીને જનતાની વચ્ચે રહે – આ ભાવનાને અનુરૂપ ‘રાજભવન’ને ‘લોકભવન’માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અભ્યાસ કરતા તેમજ વસતા વિવિધ રાજ્યોના નાગરિકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરતા તેમણે તેને ભારતની એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. '11 વર્ષમાં ભારતે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિ કરી'રાજ્યપાલએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિ કરી છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો, રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ અને વિકાસકાર્યો ભારતની નવી ઓળખ બની છે. સાથે જ છેલ્લા 8 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોવાનું ઉલ્લેખ કરી તેમણે દેશના આર્થિક ઉત્થાન પર ભાર મૂક્યો. અસમ અને મણિપુરના રાજ્યપાલના વીડિયો સંદેશ રજૂઆ પ્રસંગે ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ. કે. શર્માએ ગુજરાત-ઉત્તર પ્રદેશ વચ્ચેના વિકાસાત્મક સંબંધો અને પ્રધાનમંત્રીના વિઝન અંગે વાત કરી. કાર્યક્રમની શરૂઆતમાં અસમ અને મણિપુરના રાજ્યપાલોના વીડિયો સંદેશ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યોના નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી.
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પાણિયા ગામે આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલા પેથાપુર તળાવ કિનારેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની ઉચ્ચ પોલીસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તળાવ પાસેથી પસાર થતા રાહદારીઓની નજર મહિલાના મૃતદેહ પર પડતા આ અંગેની જાણ ગામમાં ફેલાઈ હતી. લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મળતા જ લીમડી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને 'ક્રાઈમ સીન' સ્થાપિત કરી તપાસ શરૂ કરી હતી. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે દાહોદ જિલ્લાની LCB અને SOG ટીમોએ મોરચો સંભાળ્યો છે. પોલીસે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા FSL ટીમની મદદ લીધી છે. ગુનેગારોના સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડને પણ કામે લગાડવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ સમક્ષ મૃતક મહિલાની ઓળખ કરવાનો સૌથી મોટો પડકાર છે. અજાણી મહિલાના પરિવારજનોની શોધખોળ માટે પોલીસે આસપાસના વિસ્તારો અને અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલ વ્યક્તિઓની વિગતો તપાસવાનું શરૂ કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસે આ રહસ્ય ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ₹1042 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રિમોટ કંટ્રોલથી તકતી અનાવરણ કરી જિલ્લાના વિકાસના કામોને ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ક્વોલિટી બાબતે કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવામાં આવશે નહીં. સિરામિક સિટીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાશેમુખ્યમંત્રીએ સભાને સંબોધતા મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોરબીનો ઉદ્યોગ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરનો વિકાસ જેટ ગતિએ થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી ઓવરબ્રિજ, કેનાલ બોક્સ કન્વર્ટ અને રોડ રસ્તાના નેટવર્કને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ઐતિહાસિક ઈમારતોના આધુનિક લાઈટિંગ ડેકોરેશન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સ્વચ્છતા અને નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરમુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, નાણાકીય વ્યવસ્થાપન બાબતે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. તેમણે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા મોરબીવાસીઓને શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે સ્વચ્છતા સંબંધિત કામો માટે રાજ્ય સરકાર તાત્કાલિક ગ્રાન્ટ ફાળવશે. 2047ના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે જ નેતૃત્વ લેવું પડશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા, પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, સાંસદ ચંદુ સિહોરા તેમજ ધારાસભ્યો દુર્લભજી દેથરીયા, પ્રકાશ વરમોરા અને મેઘજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર દ્વારા જિલ્લાના વિકાસ કામોની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પારઘી, પૂર્વ મંત્રીઓ મોહન કુંડારીયા અને બ્રિજેશ મેરજા સહિત સિરામિક એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
પાટનગરને સ્માર્ટ સિટી બનાવવાના બણગાં ફૂંકતા સત્તાધીશો અને ચૂંટણી વખતે હાથ જોડીને મતો માંગવા આવતા નગરસેવકો સામે સેક્ટર-24ના રહીશોએ ખુલ્લો બળવો પોકાર્યો છે. આદર્શનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ અને હાલમાં ચાલી રહેલા ગટર પાણીના કામોમાં દેખીતા ભ્રષ્ટાચારને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોર્પોરેટરો મતો મળ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમસ્યાના સમયે કોર્પોરેટર કે પ્રશાસનના લોકો ડોકાતા પણ નથી. રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. કોર્પોરેટર મતો મેળવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયાઃ સ્થાનિકોગાંધીનગર મહાનગરપાલિકાના કરોડોના બજેટ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સેક્ટર-24ના રહીશો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. આજે સેક્ટર-24ની આદર્શનગર સોસાયટીમાં મહિલાઓ અને રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનો આક્રોશ છે કે, ચૂંટણી ટાણે બે હાથ જોડીને આવેલા કોર્પોરેટર મતો મેળવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને અમારી સમસ્યા સાંભળવાની તેમને ફુરસદ નથી. કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની પાઈપલાઈન વાપરી હોવાનો આરોપ આદર્શનગર સોસાયટીના રહીશોએ આજે મહાનગરપાલિકાના વહીવટ અને હલકી ગુણવત્તાની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવી હાલમાં ચાલી રહેલા ગટર અને પાણીની લાઈનના કામમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાની પાઈપલાઈન વાપરવામાં આવી રહી છે. પાણીની પાઈપલાઈન નબળી હોવાથી ગમે ત્યારે લીકેજ થવાનો અને ગટરનું ગંદુ પાણી ભળવાનો ભય સતાવી રહ્યો છે. લેખિત-મૌખિક રજૂઆતો બાદ પણ સમસ્યા યથાવત્આ અંગે અનેક વખત ગાંધીનગર મહાનગરપાલિકા અને ઉચ્ચ કક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. સોસાયટીમાં માત્ર લાઈનો જ નહીં પરંતુ દબાણની સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની છે. પાટનગરમાં અગાઉ પ્રદૂષિત પાણીને કારણે ટાઈફોઈડના અનેક કેસો નોંધાયા હતા. સ્થાનિકોએ કામગીરી અટકાવી આંદોલનની ચીમકી ઉચ્ચારીઆદર્શનગરના રહીશોનો દાવો છે કે, હાલમાં પણ તેઓ ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે. કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં મહાનગરપાલિકા લોકોને શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. સોસાયટીમાં રહેતા મેહુલ પટેલ, કોમલબેન રાવલ, વિનુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ રાવલ અને કેયરભાઈ રાવલ સહિતના રહીશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં ગંદકી, દબાણ અને પાયાની સુવિધાઓનો અભાવ છે. જો આગામી સમયમાં કામગીરીની ગુણવત્તામાં સુધારો કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને ઉકેલ નહીં લાવે તો રહીશો દ્વારા ચાલી રહેલી કામગીરી અટકાવી દેશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે આગામી 27 તારીખે ટ્રેનોમાં થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 27 જાન્યુઆરી, 2026ના રોજ બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે અમદાવાદ–વિરમગામ રેલવે રૂટ પર દોડતી કેટલીક ટ્રેનો રદ થશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે અને કેટલીક ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આંશિક રીતે રદ થનારી ટ્રેનો: 27 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે નહીં ચાલે. ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આ દિવસે અમદાવાદ સુધી નહીં જાય અને સાબરમતી બીજી સ્ટેશન પર જ અટકશે. આ ટ્રેન સાણંદ, સાબરમતી જંક્શન અને અમદાવાદ સ્ટેશને નહીં રોકાય. સંપૂર્ણ રીતે રદ થનારી ટ્રેનો: અમદાવાદ–વિરમગામ અને વિરમગામ–અમદાવાદ મેમૂ ટ્રેનો બે દિવસ માટે રદ રહેશે. વડોદરા–જામનગર અને જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ આ તારીખોમાં રદ કરવામાં આવી છે. વલસાડ–વડનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ 27 જાન્યુઆરીએ નહીં ચાલે. રૂટ બદલાયેલી ટ્રેનો: જોધપુર–દાદર, યોગ નગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ, યશવંતપુર–બાડમેર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ અને ભગત કી કોઠી–પુણે એક્સપ્રેસ જેવી ટ્રેનો તેમના નિર્ધારિત માર્ગના બદલે વૈકલ્પિક માર્ગ પરથી દોડશે. આ ટ્રેનો સાબરમતી બીજી સ્ટેશનના બદલે સાબરમતી જેલ સાઇડ સ્ટેશન પર રોકાશે.
સુરતના વેલંજા ખાતે આગામી 25 January ના રોજ ‘એડવાન્સ સેમીકન્ડક્ટર મટીરીયલ એન્ડ ટેકનોલોજી 2026’ (ISASMT 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કવાડક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સમિટ ભારતને ડીપ-ટેક ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનો મહાકુંભ આ સમિટમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, ટોચની યુનિવર્સિટીઓના પ્રોફેસર્સ અને હાઈ-ટેક ઉદ્યોગના નિષ્ણાતો એક મંચ પર એકઠા થશે. અહીં ખાસ કરીને 2D સામગ્રીના ડિવાઈસ ફેબ્રિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લીકેશન જેવા જટિલ વિષયો પર ટેકનિકલ સેશન યોજાશે, જે સંશોધન અને ઉદ્યોગ વચ્ચે મજબૂત સેતુ બનાવશે. નવી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન આ પ્રસંગે વેલંજાના મારુતિ ટ્રેડ સેન્ટર ખાતે ‘કવાડક્વોન્ટમ રીસર્ચ એન્ડ ઇનોવેશન લેબ’નું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ લેબ 2D સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ મટિરિયલ્સના સંશોધન માટે સમર્પિત રહેશે. મટિરિયલ-લેવલ ઇનોવેશનથી લઈને સિસ્ટમ-લેવલ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઈન વિકસાવવાનું આ લેબનું મુખ્ય લક્ષ્ય છે, જે સુરતને હાઇ-ટેક હબ બનાવવામાં મદદરૂપ થશે.
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે શનિવારે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે ઉકાઈ-કાકરાપાર કમાંડ વિસ્તાર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા નહેર સુધારણા પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ સમીક્ષા કરી. મંત્રીએ જલાલપોર તાલુકાના મહુવર અને એરુ ગામમાં ચાલી રહેલા લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈનું પાણી છેવાડાના ખેતર સુધી મળી રહે તે માટે નહેરોનું આધુનિકીકરણ અનિવાર્ય છે. જૂના અને જર્જરિત સ્ટ્રક્ચરોને બદલીને નવા સ્ટ્રક્ચરો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ નહેરોની લાઈનીંગ સાથે ખેડૂતોની અવરજવર અને પાક પરિવહન માટે નહેરોની બાજુમાં પાકા અને મોટરેબલ રસ્તાઓ પણ બનાવવામાં આવશે. મંત્રીએ એરુ ગામે સબ-માઈનોર નહેરો અને મહુવર ગામે માઈનોર નહેરના ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. તેમણે ટેકનિકલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સ્પષ્ટ સૂચના આપી કે નહેરના લાઈનીંગ કામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. કામગીરી નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય, જેથી આગામી સિઝનમાં ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી ન પડે. આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, નાયબ કલેકટર કેયુર ઇટાલિયા સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ઈજનેર આર.એમ. પટેલ અને અધિક્ષક ઈજનેર એસ.બી. દેશમુખે મંત્રીને ટેકનિકલ પાસાઓ વિશે માહિતી આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી ખોટી રીતે નામો કમી કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી છે. કોંગ્રેસ સમિતિના ઋત્વીક મકવાણા અને નૌશાદ સોલંકી સહિતના આગેવાનોએ લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું હનન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. SIRની કામગીરી બાદ પ્રસિદ્ધ થયેલી યાદીમાં ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વિરોધ પક્ષ તરફી ઝુકાવ ધરાવતા મતદારોના નામ કાઢવા માટે હજારોની સંખ્યામાં ફોર્મ નં. 7 ભરવામાં આવી રહ્યા છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, નામ કમી કરવા માટે ભરાયેલા ફોર્મ નં. 7 સાથે કોઈપણ પ્રકારના મજબૂત દસ્તાવેજી પુરાવા જોડવામાં આવ્યા નથી. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને સાચા મતદારોના મતાધિકાર પર તરાપ મારવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કોંગ્રેસે વહીવટી તંત્ર પાસે તટસ્થ તપાસની માંગ કરી છે. તેમણે 22,000 ફોર્મ નં. 7 અરજીઓની નકલો લેખિતમાં આપવાની પણ માંગ કરી હતી. જો પુરાવા વગર નામ કમી કરવામાં આવશે અથવા આ ષડયંત્ર સામે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ કોંગ્રેસે આપી છે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં સામૂહિક ધોરણે ભરાયેલા ફોર્મ નં. 7 (નામ કમી કરવા માટેની અરજીઓ)ની તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરવાનો સમાવેશ થાય છે, જેથી કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ ખોટી રીતે નામ કમી ન થાય. પંચનામા વગર નામ કમી ન કરવા: કોઈપણ સાચા મતદારનું નામ માત્ર અરજીના આધારે કાઢી ન નાખતા, તેની રૂબરૂ ખાતરી કરવી અને કાયદેસરનું પંચનામું કર્યા બાદ જ આગળની પ્રક્રિયા કરવી જેથી કોઈનો મતાધિકાર છીનવાય નહીં. ષડયંત્રખોરો સામે કડક કાર્યવાહી: ખોટા પુરાવા ઊભા કરીને અથવા પુરાવા વગર મતદારયાદીમાં ચેડાં કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અરજદારોની યાદી જાહેર કરવી: ફોર્મ નં. 7 ભરનાર વ્યક્તિઓની યાદી અને જે મતદારોના નામ સામે વાંધો લેવામાં આવ્યો છે, તે તમામની વિગતવાર યાદી કોંગ્રેસ પક્ષને અને જનતાને પૂરી પાડવામાં આવે જેથી પારદર્શિતા જળવાય. વીડિયો ફૂટેજની માંગ: સૌથી મહત્વની માંગણી કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે, તા. 15, 16, 17 અને 18 જાન્યુઆરી 2026 દરમિયાન પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીમાં જે શંકાસ્પદ રીતે ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે, તે સમયના સીસીટીવી (CCTV) વીડિયો ફૂટેજ જાહેર કરવામાં આવે.
અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તાર અસલાલી, વિરમગામ અને કણભા સહિતના વિસ્તારોમાં મોબાઈલ ટાવર પરથી કોપર કેબલની ચોરીની વધતી ફરિયાદોને પગલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે ગેંગના ચાર આરોપી વિકાસ યોગી, પપ્પુનાથ યોગી, અભિષેક બારી અને જગદીશ માલીની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે લાખ રૂપિયાથી વધુ કિંમતનું 213.500 કિલોગ્રામ કોપર, ચોરીમાં વપરાયેલું મોટરસાયકલ, ટેમ્પો અને કેબલ કટર સહિત કુલ 3.80 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેંગ મોબાઈલ ટાવર પરથી કોપરના કેબલની ચોરી કરતીપોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં ખુલ્યું છે કે, આરોપીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં આવેલા મોબાઈલ ટાવર પરથી કોપરના કેબલની ચોરી કરતા હતા. આરોપી જગદીશ અને અભિષેક ટેકનિકલ નોલેજ ધરાવતા હોવાથી તેઓને કેબલ કાપવાની અને કાઢવાની સંપૂર્ણ સમજ હતી. આ બંનેએ વિકાસ અને પપ્પુનાથને સાથે રાખીને ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે ટેમ્પો અથવા બાઈક લઈને નીકળીને ચોરી કરતાઆરોપીઓ રાત્રિના સમયે ટેમ્પો અથવા બાઈક લઈને નીકળતા અને મોબાઈલ ટાવર પરથી કોપર કેબલની ચોરી કરતા હતા. કોપરની બજાર કિંમત વધુ હોવાથી વધુ નફાની લાલચે તેઓ ચોરી કરીને સ્ક્રેપ માર્કેટમાં વેચતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં બે ટેકનિશિયન, એક સ્ક્રેપ ડીલર અને એક વાહનચાલકનો સમાવેશ થાય છે. પાંચ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરીઅમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અસલાલી અને કણભા વિસ્તારમાં થયેલા કોપર વાયર ચોરીના પાંચ ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ અમદાવાદમાં રહેતા હતા, પરંતુ તેઓ મૂળ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે નહીં, તેમજ ચોરાયેલો કોપર ક્યાં ક્યાં વેચવામાં આવ્યો છે અને અન્ય વિસ્તારોમાં પણ ચોરી કરાઈ છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી A કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. આ ટેકનિકલ સુધારાને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક મહત્વની ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેની મુસાફરોએ નોંધ લેવી જરૂરી છે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનો રદ બ્લોકને કારણે બે મુખ્ય ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે: ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ: 27.01.2026 અને 28.01.2026 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ: 26.01.2026 અને 27.01.2026 ના રોજ રદ રહેશે. વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં ફેરફાર ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22926) તારીખ 27.01.2026 ના રોજ તેના નિયમિત રૂટને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-કટોસણ રોડ-કલોલ-સાબરમતી થઈને દોડશે. આ ટ્રેન સાણંદ અને સાબરમતી જંકશન પર ઉભી રહેશે નહીં, પરંતુ તેને સાબરમતી (BG) સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે અને ત્યાં જ તેની યાત્રા પૂર્ણ કરશે. મુસાફરો માટે સૂચના રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા www.enquiry.indianrail.gov.in પર ટ્રેનનું સ્ટેટસ ચકાસી લે. સિગ્નલિંગના આ કાર્યથી ભવિષ્યમાં ટ્રેનોની ઝડપ અને સુરક્ષામાં વધારો થશે.
અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 77th પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ માનવતાભરી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 24 January ના રોજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાંબી સારવાર લેતા દર્દીઓમાં માનસિક સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. 22 દર્દીઓએ રમતગમતમાં બતાવ્યો ઉત્સાહ આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં કુલ 22 દર્દીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વ્હીલચેર કે અન્ય શારીરિક મર્યાદાઓ હોવા છતાં, દર્દીઓના ચહેરા પરનો આનંદ અને જીતવાની જિજ્ઞાસાએ હોસ્પિટલના વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. આ રમત-ગમત પ્રવૃત્તિઓ દર્દીઓને શારીરિક પીડા ભૂલાવી સકારાત્મકતા તરફ દોરી ગઈ હતી. તબીબોનું માર્ગદર્શન: માનસિક મજબૂતી અનિવાર્ય કાર્યક્રમમાં જાણીતા સ્પાઇન સર્જન ડો. પિયુષ મિત્તલ અને ડો. શ્રેયા શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. મિત્તલે જણાવ્યું હતું કે, કોઈપણ ગંભીર બીમારીમાંથી ઝડપી રિકવરી મેળવવા માટે માત્ર તબીબી સારવાર પૂરતી નથી, પરંતુ દર્દીની માનસિક મજબૂતી અને સકારાત્મક અભિગમ 50% થી વધુ અસર કરે છે. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમની હિંમત વધારી હતી. પુરસ્કાર વિતરણ અને સન્માન રમત-ગમતમાં વિજેતા બનેલા અને ભાગ લેનારા તમામ દર્દીઓને આગામી 26 January ના રોજ પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમમાં પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની આ પહેલ રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલો માટે પણ ઉદાહરણરૂપ બની છે.
સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગીતાજી અધ્યાત્મ શાસ્ત્ર છે, જ્યારે શિક્ષાપત્રી એ જિંદગીનું 'મેનેજમેન્ટ શાસ્ત્ર' છે. 212 શ્લોકો ધરાવતી આ સંહિતામાં સદાચાર, સામાજિક શિસ્ત અને સ્ત્રી ગૌરવ જેવા ક્રાંતિકારી મૂલ્યોનો સમાવેશ થાય છે. ભક્તિમય કાર્યક્રમો અને અભિષેક મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે ભગવાન અને શિક્ષાપત્રીજી પર પંચામૃત, પુષ્પ પાંખડી અને ધાન્યથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. મહોત્સવમાં યોજાયેલા શિક્ષાપત્રી યજ્ઞમાં સંતો અને હરિભક્તોએ આહુતિ અર્પી હતી. લેખન ભક્તિ અને શિષ્યોનું કૌશલ્ય આ અવસરે 200 થી વધુ ભાવિકોએ વિવિધ ભાષાઓમાં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. આશ્ચર્યજનક રીતે ગુરુકુળના 30 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શિક્ષાપત્રી કંઠસ્થ સંભળાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સમાપન ભવ્ય મહારાસ સાથે કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલે શનિવારે વિવિધ જનસુવિધાના કાર્યોનું લોકાર્પણ કર્યું. તેમણે ચીખલી તાલુકાના કલિયારી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન અને ખેરગામ તાલુકાના આછવણી ગામે આધુનિક લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું. કલિયારી ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ નવા ભવનના નિર્માણથી ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સુચારુ, ઝડપી અને કાર્યક્ષમ બનશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામ્ય વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધ છે. ખેરગામના આછવણી ગામે લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, આ લાઈબ્રેરી ગ્રામ્ય વિસ્તારોમાં વાંચન પ્રત્યે રુચિ જગાડશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે ઉપયોગી બનશે. આનાથી જ્ઞાનવર્ધન દ્વારા ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોએ વિકાસલક્ષી કાર્યોને આવકાર્યા હતા.
વર્ષ 2016 માં સુરતની સેશન્સ કોર્ટમાં એક કેસ દાખલ થયો હતો. જેમાં જેઠાણી ઉપર દેરાણીની હત્યા કરવાના ગુન્હાની ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2019માં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા જેઠાણીને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે જેઠાણીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને જેઠાણીને નિર્દોષ છોડી હતી. જેઠાણી પર દેરાણીની હત્યા કરવાનો આરોપ હતોકેસની વિગતો જોતા દેરાણી અને જેઠાણી વચ્ચે ઘરેણા બાબતે બોલાચાલી થતી હતી. એક દિવસ જ્યારે દેરાણી ઊંઘતી હતી. ત્યારે જેઠાણી તેની ઉપર ધોકો લઈને તૂટી પડી હતી અને તેને માથામાં ગંભીર ઇજાઓ કરી હતી. દેરાણી મૃત્યુ પામતા તેની ઉપર એસિડ છાંટીને તેનું એસિડ પીવાથી મૃત્યુ પામી હોવાનું નાટક કર્યું હતું. બાદમાં તેના શરીર પરથી ઘરેણા ઉતારી લીધા હતા. મૃતકના પિયરિયાને આ અંગે જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં મૃતકના મોઢાના ભાગે ઈજાઓ, તેમજ આરોપી જેઠાણીના શરીરની ઇજાઓ અને દાઝેલા હાથ જોઈને શંકા ગઈ હતી. તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે 20 સાહેદ અને 38 પુરાવાને આધારે જેઠાણીને સજા ફટકારી હતી. સાથે જ એવી બાબત પણ સપાટી ઉપર આવી હતી કે આરોપી જેઠાણીને તેના દિયર એટલે કે મૃતકના પતિ સાથે આડા સંબંધ હતા. મકાનની લિફ્ટના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી મહિલા એસિડની બોટલ લઈને આવતી હોવાનું દેખાતું હતું. દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થતા હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી અને મૃતક છેલ્લે બંને સાથે હતા. જેઠાણીએ કહ્યું હતું કે ખૂબ જ ગરમ પાણીના કારણે તે દાઝી હતી. જે ધોકા દ્વારા હત્યા કરાઈ હતી તેને કબ્જે કરવામાં આવ્યો હતો. તેની ઉપરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. મૃતકના ઘરેણા પણ આરોપીએ જ આપ્યા હતા. સેશન્સ કોર્ટેના ચુકાદાને રદ કરી હાઈકોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યોગુજરાત હાઇકોર્ટની અપીલમાં નોંધાયું હતું કે, જે ધોકા વડે હત્યા કરવામાં આવી તેની ઉપર કોઈ ફિંગર પ્રિન્ટ નહોતા. CCTV 17 દિવસ બાદ રજૂ કરવામાં આવ્યા હતા. હથિયાર અને જ્વેલરીની રિકવરીમાં પંચનામુ અને પ્રોસેસ સંતોષકારક નહોતા. જ્વેલરીને કારણે ઝઘડો થયો હોવાનું લાગી રહ્યું હતું. જ્યારે આરોપીનું કહેવું હતું કે, તે જેઠાણીને બચાવતી વખતે દાઝી ગઈ હતી. DNA પ્રોફાઈલ કરવામાં આવી નહોતી. ફક્ત સંભાવનાને આધારે જેઠાણીને સજા કરવી યોગ્ય નથી. આ સાથે જ હાઇકોર્ટે જેઠાણીની અપીલ ગ્રાહ્ય રાખીને તેની સજા રદ્દ કરી હતી.
24 કલાકમાં તાપમાન 3 થી 7 ડિગ્રી ઘટ્યું 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 3થી 7 ડિગ્રી ઘટ્યો. અમદાવાદમાં પણ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો છે. હજુ આગામી બે દિવસ ઠંડીનો આ ચમકારો યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગોળી આકસ્મિક નહીં, હત્યાના ઈરાદે ચલાવાઈ હતી અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં ફાયરિંગ કેસમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશકુમાર સિંહ ગોહિલ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ગોળી આકસ્મિક નહીં, ઈરાદા પૂર્વક ચલાવાઈ હોવાનું સામે આવ્યું. .21 જાન્યુઆરીએ મોડી રાત્રે યશકુમારે પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગેનીબેનની ગાડીથી અકસ્માત, ફોટો -વીડિયો ડિલિટ કરાવ્યા પાલનપુરના કુશકલ નજીક સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને ટક્કર મારી, સાંસદના માણસોએ મદદ કરવાને બદલે અકસ્માતના ફોટો-વીડિયો ડિલીટ કરાવ્યા.બીજા દિવસે સાંસદ હોસ્પિટલ પહોંચ્યા. પરિવારે કાયદેસર કાર્યવાહીની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો શંકરાચાર્યના અપમાનનો વડોદરામાં વિરોધ પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજના કથિત અપમાન મામલે વડોદરામાં એનએસયુઆઈએ વડોદરામાં વિરોધ કર્યા. યુપીના સીએમ યોગી આદિત્યનાથના ફોટો પર શ્યાહી લગાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો માયા આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ.. એસઆઈટીએ ત્રણ દિવસમાં આજે બીજી વાર પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો કોન્સ્ટેબલના આપઘાત મુદ્દે PSI પર આક્ષેપ ભાવનગરના કોન્સ્ટેબલ આપઘાત મામલે પરિવારે પીએસઆઈને જવાબદાર ગણાવ્યા. પીએસઆઈ કોન્સ્ટેબલને સતત પ્રેશર આપી, સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો થાર પર ચડીને અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે થાર પર ચડી અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી.. ગ્યાસપુરના વેપારીની ગાડીને આંતરી ફિલ્મી ઢબે તોડફોડ કરી..પોલીસે તપાસ હાથ ધરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી વડોદરાના ગોરવામાં બેટરીના ગાોડાઉનમાં ભીષણ આગ લાગી. આગના કારણે નજીકની સોસાયટીના લોકોને દૂર ખસેડી દેવા પડ્યા હતા.. પાંચ ફાયર સ્ટેશનોની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો માતા-પુત્રએ સાબરમતિમાં કૂદી આપઘાત કર્યો અમદાવાદમાં માતા-પુત્રએ સાબરમતિ નદીમાં કૂદી આપઘાત કર્યો. વલ્લભસદન રિવરફ્રન્ટ પાસેથી બંનેના મૃતદેહ મળ્યા. દીકરો માનસિર અસ્વસ્થ હોવાથી બંનેએ અંતિમ પગલું ભર્યાનું અનુમાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો સરસ્વતી પૂજામાં ડાન્સર્સ બોલાવી તમાશો સુરતમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં ડાન્સર્સ બોલાવાઈ. વેડ રોડની આનંદ પાર્ક સોસાયટીમાં મહિલાઓના અશ્લીલ ડાન્સથી લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો
ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામોમાં તાજેતરમાં 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ (VB G RAM G) બિલ 2025' અંતર્ગત જન જાગરણ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીને વિશેષ ઉપસ્થિત રહીને ગ્રામજનોને આ ક્રાંતિકારી યોજનાના ફાયદાઓ અને સરકારની કલ્યાણકારી નીતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી. રોજગારીના દિવસોમાં વધારો અને ખેતીનું સંતુલન શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, અગાઉની મનરેગા યોજનામાં શ્રમિકોને 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે 'વિકસિત ભારત યોજના' હેઠળ શ્રમિકોને 125 દિવસની ગેરંટીડ રોજગારી આપવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે વાવણી અને કાપણીની સીઝન દરમિયાન 60 દિવસ સુધી આ યોજના હેઠળ કામ બંધ રહેશે, જેથી શ્રમિકો ખેતીમાં વ્યસ્ત રહી શકે. આમ, 125 દિવસ યોજનાના અને 60 દિવસ ખેતીના મળીને કુલ 185 દિવસની આજીવિકા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેનાથી કૃષિ વિકાસને પણ વેગ મળશે. વિકાસ કાર્યોની ચાર સ્પષ્ટ શ્રેણીઓ અગાઉની યોજનાઓમાં આયોજનના અભાવે કાચા રસ્તાઓ કે અધૂરા કામોની સમસ્યા રહેતી હતી. હવે, તમામ કાર્યોને 4 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે: જળ સુરક્ષા માટેના જળ સંબંધી કાર્યો. મુખ્ય ગ્રામીણ પાયાની સુવિધાઓ (Infrastructure). આજીવિકા સુધારવા માટેની પાયાની સુવિધાઓ. પ્રતિકૂળ હવામાન અને આપત્તિ સામે લડવા માટેના વિશેષ કાર્યો. વહીવટી સુધારા અને જવાબદારી યોજનાને વધુ પારદર્શક બનાવવા માટે વહીવટી ખર્ચની મર્યાદા 6% થી વધારીને 9% કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર રોકવા માટે દર 6 મહિને સોશિયલ ઓડિટ ફરજિયાત કરાયું છે. જો કોઈ શ્રમિકને કામ માગ્યાના 15 દિવસમાં રોજગાર નહીં મળે, તો તેને બેરોજગારી ભથ્થું આપવું અનિવાર્ય બનશે, જે આ બિલની સૌથી મજબૂત કાનૂની જોગવાઈ છે. સ્થાનિક નેતૃત્વની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકા ભાજપ પ્રમુખ નિયલભાઇ પટેલ, APMC ચેરમેન રમેશભાઈ પટેલ, મધુર ડેરીના ડિરેક્ટર, વિવિધ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મણિભાઈ, બળદેવભાઈ અને જસુજી ઠાકોર સહિતના સ્થાનિક સભ્યોએ ગ્રામીણ ઉત્થાનના આ અભિયાનમાં સક્રિય રસ દાખવ્યો હતો.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ખટોદરા પોલીસ હાલ એક નિર્દયી માતાની શોધખોળ કરી રહી છે. આ મહિલા પોતાની માત્ર 20 દિવસની માસૂમ બાળકીને હોસ્પિટલના NICU વોર્ડમાં ગંભીર હાલતમાં તરછોડીને ફરાર થઈ ગઈ છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મહિલા હોસ્પિટલના પહેલા માળેથી ઉતરીને તરત જ રિક્ષા પકડીને નાસી છૂટી હતી. બાળકીને વલસાડથી 108 મારફતે સુરત સિવિલ લવાઈઆ ગંભીર કિસ્સામાં નવજાત બાળકીની તબિયત જન્મથી જ અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. માતાએ અગાઉ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના પાલઘરના જંગલ વિસ્તારમાં રહે છે, જ્યાં બાળકીના જન્મ બાદ માથાના ભાગે ઝેરી જીવ-જંતુઓ કરડી હતી. આ ગંભીર ઇજાની સારવાર માટે તેને વલસાડથી સુરત સિવિલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવી હતી. મહિલા હોસ્પિટલમાંથી રિક્ષામાં બેઠી ફરારખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી છે, જેમાં આરોપી મહિલા લીલા રંગના કુર્તામાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ મહિલાની ઓળખ બબ્લી સોનુ ઠક્કર તરીકે થઈ છે, જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર ગામની વતની છે. ફૂટેજમાં તે બાળકીને દાખલ કર્યા બાદ તક મળતા જ હોસ્પિટલના દરવાજેથી ઉતાવળે રિક્ષામાં બેસીને પલાયન થતી નજરે પડે છે. પોલીસે આ તમામ વીડિયો પુરાવા તરીકે લીધા છે અને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલ તંત્રએ માતા સામે ફરિયાદ નોંધાવીસિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર બરખા પટેલે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છે કે, કાયદાકીય રીતે નવજાત શિશુને આ રીતે બિનવારસી હાલતમાં મૂકી દેવું એ સજાપાત્ર ગુનો બને છે. હાલમાં પોલીસ આરોપી માતાના રહેઠાણ અને તેના સંબંધીઓની વિગતો મેળવીને તપાસ કરી રહી છે.
અમેરિકાથી પરિવાર સાથે અમદાવાદ આવેલા એક વૃદ્ધાના રૂ. 8.25 લાખના દાગીનાની ચોરીનો કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે, જે નાના બાળકોને સાથે રાખીને બસમાં મુસાફરી દરમિયાન ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. અડાલજમાં રહેતા 83 વર્ષીય સર્યુબેન દલાલ પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે અમેરિકા પરથી ભારત આવ્યા હતા. ગત તારીખ 20 જાન્યુઆરીએ તેઓ તેમના પુત્ર રાહુલ અને મોટાબેન કુંદનબેન ગાંધી સાથે અડાલજથી શિવરંજની ચાર રસ્તા નજીક આવેલી એ.બી. જ્વેલર્સમાં દાગીના બનાવડાવવા માટે નીકળ્યા હતા. બીઆરટીએસ બસમાંથી 8.25 લાખના દાગીની ચોર્યાત્રણે જણ બપોરના સમયે ત્રિમંદિર અંબા ટાઉનશીપ બીઆરટીએસ બસસ્ટેન્ડ પરથી બસમાં બેઠા હતા. આશરે એક કલાકની મુસાફરી બાદ તેઓ શિવરંજની બીઆરટીએસ બસસ્ટેન્ડ પર ઉતર્યા હતા. બસસ્ટેન્ડની બહાર પહોંચ્યા બાદ પર્સ ચેક કરતાં તેમાં રાખેલા સોનાના બિસ્કિટ, લગડી, બંગડી અને કંઠી સહિત કુલ રૂ. 8.25 લાખના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બંને મહિલાઓ ઝડપાઈફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તપાસમાં દાહોદ જિલ્લાના રહેવાસી અને નિર્ણયનગર, ગરનાળુમાં રહેતા એકની સંડોવણી બહાર આવી હતી. બંને મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. બસોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી મહિલાઓ શહેરમાં મજૂરી કામના બહાને આવીને નાના બાળકોને સાથે રાખી બીઆરટીએસ તથા એએમટીએસ બસોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. 20.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ સતત સક્રિય છે. જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટા મૂકનાર, સજા વોરંટના આરોપી અને છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસ અધિક્ષક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટા કે વીડિયો મૂકીને ભય ફેલાવનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન. ગઢવીના નેતૃત્વ હેઠળ અને પી.એસ.આઈ. આર.આર. રાયજાદાની રાહબરીમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, એક વ્યક્તિએ છરી સાથેના ફોટા અપલોડ કર્યા છે. આ માહિતીના આધારે, વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી મહમદ અલીભાઈ મુગલ (ઉં.વ. 20, રહે. ચમોડા, તા. વેરાવળ)ને છરી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લામાં સજા વોરંટ અને પકડ વોરંટના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી સજા વોરંટના કામે નાસતા ફરતા તોસીફભાઈ હનીફભાઈ સેલત (ઉં.વ. 40, રહે. બાગે યુસુફ કોલોની, વેરાવળ)ને ઝડપી પાડ્યો હતો. તે ફોજદારી કેસ નં. 612/2018માં વોન્ટેડ હતો. ગીર સોમનાથ પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એમ.કેસ. નં. 02/2001 (ઈ.પી.કો કલમ 406, 420, 417, 114) મુજબ છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ગુનામાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે ગુજરાત સિદ્ધિ સિમેન્ટમાંથી ધુવારણ ખાતે મોકલાવવાની 300 થેલી સિમેન્ટ બારોબાર વેચી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ગુનો કર્યા બાદ આરોપી નામ અને સ્થળ બદલીને વર્ષોથી ફરાર હતો. મિસિંગ સેલના ઈન્ચાર્જ પો.સબ.ઈન્સ. જે.આર. ડાંગર તથા તેમની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે દામોદર સાંગાણી પટેલ, ઉ.વ. 54 રહે. રાચરડા (કલોલ), ગાંધીનગરતેમજ અગાઉ અમદાવાદ, જામનગર અને રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતો આ આરોપીને ગાંધીનગર જિલ્લાના રાચરડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ પોલીસની આ સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે જિલ્લામાં ગુનાખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત થયો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 9.90 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં, શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક તથા સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોમાં ધરમપુર નગરપાલિકાના નવા ભવનનું નિર્માણ, મહારાણી કુશળ કુંવરબા તળાવ ખાતે આવેલી ઐતિહાસિક દેરીઓનું નવીનીકરણ તેમજ ત્રણ દરવાજાથી આસુરા વાવ સર્કલ સુધી રોડની બંને બાજુ ડ્રેનેજ લાઈન અને પંપિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. મંત્રી કનુ દેસાઈએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ધરમપુરની પાવન ધરતી પર સ્વામિનારાયણ ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી જેવી મહાન વિભૂતિઓએ વિચરણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે સર્વાંગી વિકાસ કર્યો છે. જ્યોતિગ્રામ યોજના, વાઇબ્રન્ટ ગુજરાત અને વનબંધુ કલ્યાણ યોજના જેવી યોજનાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી અને રોજગારીની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે 2 લાખ કરોડની વિકાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેના કારણે આગામી સમયમાં ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોને પણ વિકાસનો વિશેષ લાભ મળશે. તાજેતરમાં જ 17 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થયું છે. આગામી દિવસોમાં બોપીમાં વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસ, ધરમપુરમાં રમતગમતનું મેદાન અને ઓડિટોરિયમ સહિતના અનેક વિકાસ કાર્યો અમલમાં આવશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરવામાં આવ્યું છે, જેમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ, શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નવા નગરપાલિકા ભવન માટે 5.82 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને તે આગામી બે વર્ષમાં તૈયાર થશે. આ ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર સિટી સિવિક સેન્ટર, પ્રથમ માળે વિવિધ વિભાગોની કચેરીઓ અને બીજા માળે કોન્ફરન્સ હોલ હશે. આધુનિક ભવન રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સજ્જ હશે. અન્ય વિકાસ કાર્યોમાં ત્રણ દરવાજાથી આસુરા સર્કલ સુધી 3.5 કિલોમીટરની ગટર લાઈન અને પંપિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહારાણી કુશળ કુંવરબા તળાવની ઐતિહાસિક દેરીઓનું રીડેવલપમેન્ટ અને લેન્ડસ્કેપિંગ પણ કરાશે.
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે નવનિર્મિત 11 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી તૂટી પડતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. સરકારી કામની ગુણવત્તાને લઈ સવાલો ઉભા થતા મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો. સરકારે તાત્કાલીક બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરી એજન્સી સામે ફરિયાદ કરી ચૂકવણું અટકાવી દીધું છે. 21 કરોડ રૂપિયાની તકલાદી ટાંકી જે એજન્સી દ્વારા બનાવવામાં આવી હતી તે 'જયંતી સુપર કન્સ્ટ્રકશને' વર્ષ 2017-18માં માત્ર ત્રણ મહિનામાં જ ભારતીય જનતા પાર્ટીના ફંડમાં 1,00,000 રૂપિયાનું દાન કર્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ એજન્સીના હાલ સુરત જિલ્લામાં જે કામો ચાલી રહ્યા છે તેની તપાસ માગવામાં આવી છે. 21 કરોડના ખર્ચે બનાવાયેલી ટાંકી ટ્રાયલ દરમિયાન તૂટી પડી હતીપાંચ દિવસ પૂર્વ સુરત જિલ્લાના તડકેશ્વર ગામમાં રૂ. 21 કરોડના ખર્ચે બનાવાયેલી 11 લાખ લિટરની ક્ષમતાની પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ તૂટી પડી હતી. ટાંકી બેસી જવાના કારણે ભ્રષ્ટાચાર ઉપસી આવ્યો હતો. ગાંધીનગરથી તપાસના આદેશ છૂટતા મે. જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા અને તેમના જવાબદાર માણસો, બાબુભાઈ અંબાલાલ પટેલ (મહેસાણા) અને તેમના જવાબદાર માણસો, પી.એમ.સી. એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રો. પ્રા. લિ. (અમદાવાદ)ના ટીમ લીડર અને સાઈટ એન્જિનિયર, જય એસ. ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અંકિત પી. ગરાસિયા, કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. તકલાદી ટાંકી બનાવનાર એજન્સીએ 5 વર્ષમાં કરેલા કામોની કોંગ્રેસે તપાસ માગીતડકેશ્વરમાં તૂટી પડેલી ટાંકી બનાવનાર એજન્સી સામે કોંગ્રેસે તપાસ માગી છે. કોંગ્રેસે મુખ્યમંત્રી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, “જયંતી સુપર કન્સ્ટ્રકશન” નામની એજન્સી દ્વારા સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની યોજના હેઠળ 21 કરોડ રૂપિયાના ખર્ચે 11 લાખ લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાં બનાવવામાં આવેલ હતી. જેમાં ટેસ્ટિંગ કરવા માટે પહેલી વખત જ પાણી ભરતા આખી પાણીની ટાંકી તૂટીને પડી ગયેલ છે. જેમાં પ્રથમ દ્રષ્ટિએ જ દેખાઈ આવે છે કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. ટેસ્ટિંગ સમયે માત્ર 9 લાખ લિટર પાણી ભરતા જ આ ટાંકી ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને ત્રણ મજૂરોને ઈજા પહોંચી. આ અકસ્માતના કારણે સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એજન્સી ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી એજન્સીનું ચૂકવણું અટકાવી દેવામાં આવ્યું છે. આ જ એજન્સીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અનેક કરોડો રૂપિયાના કામો સોંપવામાં આવ્યા છે. “જયંતી સુપર કન્સ્ટ્રકશન અને કૃષ્ણ કોર્પોરેશન” સહિત અન્ય નાની-મોટી એજન્સી/કોન્ટ્રાકટરોને ઓલપાડ તાલુકામાં ઓલપાડ-સરસ રોડ, ખલીપોર, મુળદ અને કુકણી ગામોમાં ઓવરહેડ પાણીના કામો તેમજ દીહેણ, ખોસડીયા, નરથાણ, ખલીપોર, કુકણી, ટકારમા, વડોલી ચોકડી, સરસ અને મુળદ સહિતના જુદા જુદા ગામોમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઇનના તેમજ અંડરગ્રાઉન્ડ પાણીના સંપ વિગેરેના આશરે 150 થી 200 કરોડ રૂપિયાના કામો આપવામાં આવ્યા છે. જે પૈકી મોટાભાગના પાણીના પ્રોજેક્ટ કામોનું ટેસ્ટિંગ અને ચુકવાનું બાકી છે. એક જ ખોદકામમાં ત્રણ-ત્રણ પાઈપલાઈન નાખી હોવાની રજૂઆતકોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ઓલપાડ તાલુકામાં ઓલપાડથી કુદીયાણા, ઓલપાડથી ઓરમા ગામ તેમજ ઓલપાડથી હાથીસા ગામ સુધીમાં એક જ ખોદકામમાં ત્રણ–ત્રણ પાઇપલાઇન નાખવામાં આવેલ છે. એટલે કે એક જ ખોદાણમાં ત્રણ પાઇપલાઈનો નાખી દીધેલ છે અને એક જ કામ કરી જુદા જુદા ત્રણ ખોદકામના ખોટા બિલો મૂકી પૈસા ચૂકવી દેવામાં આવેલ છે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામ ખાતે છેલ્લા 10 વર્ષથી પાણીની ટાંકી બનાવેલ છે આજની સ્થિતિ એ પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહેલ નથી . તેથી આ પાણીની ટાંકી અન્વયે જે ચૂકવણાઓ કરવામાં આવેલ છે તે અંગે પણ એજન્સીની યોગ્ય તપાસ થાય એ જરૂરી છે અને આવી એજન્સીને સમર્થન કરતાં અધિકારીઓ સામે પણ તટસ્થ અને કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આખા સુરતમાં આ એજન્સીને આપેલ કામોના બિલો, કામ પૂર્ણતાના ખોટા પ્રમાણપત્રો આપવામાં આવેલ છે તેની પણ ખાસ ટીમની રચના કરી તપાસ કરાવવામાં આવે. જેથી આજદિન સુધીમાં એજન્સી દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની વિગતો બહાર આવે અને જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય. તકલાદી ટાંકી બનાવનાર એજન્સીએ ત્રણ મહિનામાં ભાજપને 1 લાખનું ફંડ આપ્યુંસુરત જિલ્લામાં નબળી કામગીરીના કારણે હાલ જે એજન્સી વિવાદમાં સપડાઈ છે તે 'જયંતી સુપર કન્સ્ટ્રકશન' દ્વારા વર્ષ 2017માં માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ ભારતીય જનતા પાર્ટીને એક લાખ રૂપિયાનું ફંડ આપ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.
ચીખલીના નોગામામાં બંધ મકાનમાંથી ₹1.50 લાખની ચોરી:તસ્કરો સ્લાઈડિંગ બારી તોડી સોનાના ઘરેણાં લઈ ફરાર
નવસારીના ચીખલી તાલુકાના નોગામા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી છે. અજાણ્યા ચોર ઈસમો ઘરના આગળના ભાગે આવેલી સ્લાઈડિંગ બારીનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટની તિજોરીમાંથી અંદાજે ₹1.50 લાખના સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના નોગામા ગામના મીઠાકુવા ફળીયામાં રહેતા મહેશભાઈ સવજીભાઈ પટેલના બંધ મકાનમાં બની હતી, જેઓ હાલ આહવા-ડાંગ ખાતે નોકરી કરે છે. તસ્કરોએ 21 જાન્યુઆરી, 2026 ના રાત્રિના 10:00 વાગ્યાથી 22 જાન્યુઆરી, 2026 ના સાંજના 04:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ઘરની આગળની સ્લાઈડિંગ બારીનું લોક તોડી પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ, દિવાલ સાથે ફિટ કરેલા લાકડાના કબાટની તિજોરીનું લોક કોઈ સાધન વડે તોડી નાખ્યું હતું. તિજોરીમાં રાખેલા ₹1,50,500/- ની કિંમતના સોનાના અલગ-અલગ ઘરેણાં ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં મહેશભાઈ પટેલે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305(એ), 331(3), અને 331(4) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.સી. ગઢવી આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
વલસાડના ધરમપુરમાં આદિવાસી સગીરાનું અપહરણ:ભાજપ નેતા આક્રમક, વિપક્ષ પર વોટબેંક રાજનીતિનો આક્ષેપ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક આદિવાસી સગીરાના કથિત અપહરણની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. આ ગંભીર બનાવ અંગે ભાજપના સ્થાનિક નેતાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને સાથે જ વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે. ભાજપ નેતાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ સાથે મળીને જિલ્લા પોલીસ વડા (SP) અને પોલીસ ટીમ સાથે તાત્કાલિક સંકલન સાધવામાં આવ્યું છે. તેમણે પોલીસની કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સગીરાને વહેલી તકે હેમખેમ પરત લાવવામાં આવશે અને આરોપીને એવી કડક સજા અપાશે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલાં અનેક વાર વિચાર કરશે. આ પ્રસંગે ભાજપ નેતાએ વિપક્ષી નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના નામે રાજનીતિ કરનાર વિપક્ષી નેતાઓ આ ગંભીર ઘટનામાં સંપૂર્ણ મૌન છે. તેમણે જણાવ્યું કે વિપક્ષ આદિવાસી સમાજને માત્ર વોટબેંક તરીકે જ જુએ છે. તેમણે ભૂતકાળની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દાભેલમાં થયેલી આદિવાસી યુવકની હત્યા સમયે પણ વિપક્ષી નેતાઓએ કોઈ અવાજ ઉઠાવ્યો નહોતો, જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સમાજના સુખ-દુઃખમાં સાથે રહી છે. અંતમાં ભાજપ નેતાએ વિશ્વાસ આપ્યો હતો કે સરકાર તથા પોલીસ પ્રશાસન પીડિત પરિવારની સાથે ઊભા છે અને આ મામલે ન્યાય અપાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ભરૂચના નાઈટ શેલ્ટર હોમે મહારાષ્ટ્રની એક બીમાર અને નિરાધાર મહિલાને આશ્રય આપી સ્વસ્થ કરી છે. આશ્રયસ્થાનની મદદથી મહિલાનું તેના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન થયું હતું, જે ઘરવિહોણા અને સંકટગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રની એક યુવાન મહિલા ગંભીર બીમાર અને નિરાધાર હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન પર મળી આવી હતી. એક જાગૃત નાગરિકની મદદથી તેમને ભરૂચના નાઈટ શેલ્ટર હોમમાં લાવવામાં આવ્યા હતા. મહિલાની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને, શેલ્ટર હોમના સંચાલકોએ તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોની સતત દેખરેખ અને યોગ્ય સારવારને કારણે માત્ર સાત દિવસમાં મહિલા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. મહિલા સ્વસ્થ થયા બાદ, શેલ્ટર હોમના સ્ટાફ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો ભરૂચ આવી મહિલાને ભાવુક મિલન બાદ પોતાની સાથે લઈ ગયા હતા. ભરૂચનું નાઈટ શેલ્ટર હોમ દર વર્ષે સરેરાશ 20થી 25 મહિલાઓને આશ્રય પૂરો પાડે છે, જેઓ વિવિધ કારણોસર ઘર છોડવા મજબૂર બને છે. સેવાયજ્ઞ સમિતિ દ્વારા સંચાલિત આ આશ્રયસ્થાનમાં માત્ર રાત્રિ રોકાણ જ નહીં, પરંતુ દિવસ દરમિયાન રહેવાની વ્યવસ્થા, પૌષ્ટિક ભોજન અને બીમારીની સ્થિતિમાં સંપૂર્ણ તબીબી સારવાર પણ પૂરી પાડવામાં આવે છે. આ રીતે, ભરૂચનું નાઈટ શેલ્ટર હોમ જરૂરિયાતમંદ અને નિરાધાર મહિલાઓ માટે માનવતા, સંવેદના અને સહાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
અરવલ્લી જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન મેઘરજ ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે મેઘરજની પી.સી.એન. હાઈસ્કૂલમાં કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાએ ઉપસ્થિત રહી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે ચર્ચા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા પરેડનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તમામ તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મેઘરજ તાલુકા ખાતે થવાની હોવાથી, આજે તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર આયોજન સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી.
સોમનાથ નજીક બાયપાસ રોડ પર સિંધી સોસાયટી વિસ્તારમાં સુખધામ યાત્રીભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ યાત્રીભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે બે દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સહિત દેશભરના હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પૂજ્ય સુખરામદાસ મસંદ ટ્રસ્ટ – ઓલ ઇન્ડિયા સેવાધારી કમિટી, સોમનાથ (પાટણ)–વેરાવળ અને સમસ્ત સુખ પરિવાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું હતું. મહોત્સવના પ્રથમ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા અને હવન જેવી ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. ત્યારબાદ ગુરુજીના આગમન સાથે શ્રદ્ધાળુઓ માટે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે નવસારીના સની મૂલચંદાણી અને વંથલીની સુખ જ્યોત મંડળી દ્વારા સત્સંગ-કીર્તન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. મહોત્સવના બીજા દિવસે, 24મી ફેબ્રુઆરી, શનિવારે સોમનાથ બાયપાસ પરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ગુરુજી સાંઈ સંજય દેવ મસંદ સાહેબ અને ગુરુમાતા અનુપમા દેવી સંજય દેવ મસંદજીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. શોભાયાત્રા બાદ ગુરુજીના હસ્તે સુખધામ યાત્રીભવનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ, સ્વામિનારાયણ ગુરુકુળના ભક્તિપ્રકાશ દાસજી, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, સાંસદ અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા અને વેરાવળ પાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુરુજી સાંઈ સંજય દેવ મસંદ સાહેબે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સંસ્થા દ્વારા દેશભરના વિવિધ તીર્થધામોમાં યાત્રિકો માટે યાત્રીભવન અને વિનામૂલ્યે પ્રસાદ-ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. સોમનાથમાં 24મું સુખધામ યાત્રીભવન તૈયાર થયું છે, જ્યાં યાત્રિકોને રહેવા માટે સુવિધાસભર વ્યવસ્થા અને વિનામૂલ્યે ભોજન સેવા મળશે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં દ્વારકા ખાતે પણ સુખધામ યાત્રીભવનના નિર્માણની યોજના છે. સુખધામ યાત્રીભવનના લોકાર્પણ પ્રસંગે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા સેવાધારી કમિટીના પ્રમુખ અશોક ચંદવાણી, લાલુભાઈ માખેંચા તેમજ મેનેજિંગ કમિટી અને વર્કિંગ કમિટીના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 1483 બોટલ વિદેશી દારૂ, બે કાર અને ત્રણ એક્ટિવા સહિત કુલ રૂ. 18,35,075નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ પ્રોહી વોચ રાખી રહ્યો હતો. આ દરમિયાન LCB સ્ટાફને બાતમી મળી હતી કે, ડીટવાસ તરફથી લીંબડીયા થઈ રણજીતપુરા ગામ તરફ કાર અને અલગ-અલગ જ્યુપિટર એક્ટિવાઓમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. આ માહિતીના આધારે, LCB ટીમે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના રણજીતપુરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમીવાળા વાહનો આવતા જ LCB સ્ટાફે તેમને આંતરી લીધા હતા. દારૂ ભરી જતી એક કાર, પાયલોટિંગમાં રહેલી સ્વિફ્ટ ગાડી અને ત્રણ જ્યુપિટર એક્ટિવા સાથે કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રથમ કેસમાં, ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1249 બોટલો (કિંમત રૂ. 3,86,375), કાર (કિંમત રૂ. 8,00,000), સ્વિફ્ટ કાર (કિંમત રૂ. 5,00,000) અને ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 17,01,375નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં પ્રવીણ વિક્રમભાઈ બારીયા (રહે. દાજીની મુવાડી, જુના રેણા, તા. શહેરા, જી. પંચમહાલ), ભરત હરીભાઈ પટેલ (રહે. જુના રેણા, તા. શહેરા, જી. પંચમહાલ) અને જીજ્ઞેશ છત્રસિંહ બારીયા (રહે. હમીરપુર નિશાળ ફળિયું, તા. ગોધરા, જી. પંચમહાલ)નો સમાવેશ થાય છે. બીજા કેસમાં, જ્યુપિટર એક્ટિવાઓમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 234 બોટલો (કિંમત રૂ. 38,200), ત્રણ એક્ટિવા (કિંમત રૂ. 75,000) અને પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,500) મળી કુલ રૂ. 1,33,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં જગદીશ મહેશભાઈ પરમાર (રહે. ડીટવાસ ખેડા ફળિયું, તા. કડાણા, જી. મહીસાગર), નવીન મોહનભાઈ ડામોર (રહે. ડીટવાસ ખેડા ફળિયું, તા. કડાણા, જી. મહીસાગર), જીતેન્દ્ર કૈલાશભાઈ ડાલકે (હાલ રહે. ડીટવાસ એકલવ્ય સ્કૂલ પાસે, તા. કડાણા, જી. મહીસાગર, મૂળ રહે. ચિચલી, તા. ઠીકરી, જી. બડવાની, મધ્યપ્રદેશ), મહેન્દ્ર ભારતભાઈ રાવત (રહે. કેશવપુરા રાવત ફળિયું, તા. કડાણા, જી. મહીસાગર), અરવિંદ ભારતભાઈ પગી (રહે. વાવિયા (ઈસરોડા), તા. ખાનપુર, જી. મહીસાગર) અને રાજુ અજમેલભાઈ પગી (રહે. વાવિયા (ઈસરોડા), તા. ખાનપુર, જી. મહીસાગર)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ વાહનો અને વિદેશી દારૂ કબજે કરી બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ-અલગ બે ગુના નોંધ્યા છે.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી એક ભવ્ય રેલી સોનગઢ નગરમાં કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને આદિવાસી નૃત્યો સાથે નગરના માર્ગો પર ફરી હતી. આ રેલી સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. સભાને સંબોધતા આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજ માટે કરાયેલા કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આદિવાસીઓ પ્રત્યેની માનસિકતા અંગે પણ ટીકા કરી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કક્ષાએ નવનિયુક્ત થયેલા પદાધિકારીઓનું ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ લગભગ ૨૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જે રાજકીય દૃષ્ટિએ નોંધપાત્ર ઘટના હતી. આ સભા આગામી પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હોવાનો ગણગણાટ સભામંડપમાં વ્યાપી ગયો હતો. આ કાર્યક્રમ દ્વારા ભાજપે આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે.
સુરત શહેરની પ્રતિષ્ઠિત અને 113 વર્ષ જૂની શૈક્ષણિક વિરાસત ધરાવતી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત 'સાર્વજનિક યુનિવર્સિટી'નો 4થો પદવીદાન સમારોહ અઠવાલાઇન્સ સ્થિત MTB ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયો હતો. શૈક્ષણિક શિસ્ત અને ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જે તેમના શૈક્ષણિક જીવનનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયો છે. 2,114 વિદ્યાર્થીઓને પદવી એનાયતસમારોહની મુખ્ય વિશેષતા એ રહી કે, કુલ 2,114 વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ (UG), પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને PGD ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોતાની વિદ્યાશાખામાં શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરનાર 53 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને 'ગોલ્ડ મેડલ' થી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ગૌરવની લાગણી જોવા મળી હતી, જ્યારે વાલીઓએ પણ પોતાના સંતાનોની આ સિદ્ધિને હર્ષના આંસુ સાથે વધાવી લીધી હતી. શિક્ષણને સમાજ ઉપયોગી બનાવવા પર ભાર મૂક્યોઆ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ્ ડૉ. રાકેશ મોહન જોશીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ભારતની શક્તિ વધી રહી છે, ત્યારે યુવા પેઢીએ માત્ર ડિગ્રી મેળવીને અટકવું જોઈએ નહીં પરંતુ સતત નવું શીખવાની વૃત્તિ રાખવી જોઈએ. તેમણે શિક્ષણને સમાજ ઉપયોગી બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રવિ આર. ત્રિપાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા. 9,239 વિદ્યાર્થીઓને જરૂરિયાતો મુજબ શિક્ષણ આપી રહીસાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ આશિષ વકીલે સમારોહના અધ્યક્ષ સ્થાનેથી યુનિવર્સિટીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 8 ઘટક કોલેજો દ્વારા સંચાલિત આ યુનિવર્સિટી હાલમાં 53 જેટલા વિવિધ અભ્યાસક્રમો દ્વારા 9,239 થી વધુ વિદ્યાર્થીઓને બદલાતી જરૂરિયાતો મુજબ શિક્ષણ આપી રહી છે. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ વિશે વિગતો આપી હતી. ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ભારત સાથે પંગો લેવામાં બાંગ્લાદેશ 'ક્લીન બોલ્ડ', સ્કોટલેન્ડને મળી 'ફ્રી હિટ': ICCનો કડક આદેશ
ICC Replaces Bangladesh with Scotland for T20 World Cup 2026 : ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. શું છે સમગ્ર મામલો?
સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવી છે. માતા દીકરાએ સાબરમતી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં દીકરો માનસિક હોવાથી માતા દીકરાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. બંનેના મૃતદેહ પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……
સુરતની કુલ 16 વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, પરંતુ લિંબાયત વિધાનસભા બેઠક આ યાદીમાં અપવાદ બની છે. અન્ય તમામ બેઠકો પર વ્યક્તિગત ધોરણે વાંધા અરજીઓ મળી છે, જ્યારે લિંબાયતમાં આશરે 5,000 થી વધુ વાંધા અરજીઓ રાજકીય હેતુથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા આ બલ્ક અરજીઓને કારણે વહીવટી તંત્ર પર ભારણ વધ્યું છે અને સ્થાનિક સ્તરે રાજકીય ખેંચતાણ તેજ બની છે. ભાજપ કોર્પોરેટર સામે આક્ષેપો અને વિવાદઆ વિવાદના કેન્દ્રમાં ભાટેના વિસ્તારના અનવર નગરની વિગતો છે. ભાજપના કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલ દ્વારા અંદાજે 220 જેટલા લોકો સામે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ અરજીઓમાં લગભગ 80 ટકા લોકોને 'મૃત' જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલ દ્વારા વાંધા અરજી કરાઇ છે.આ સમાચાર પ્રસરતા જ મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક મતદારો હજુ હયાત હોવા છતાં તેમને સરકારી રેકોર્ડમાં મૃત ગણાવી મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થયો છે. કોઈપણ પૂર્વગ્રહ વગર ન્યાયિક પ્રક્રિયા કરાશે- એડિશનલ ચૂંટણી અધિકારીવધતા વિવાદ વચ્ચે એડિશનલ ચૂંટણી અધિકારી અમિત ચૌધરીએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, 18મી તારીખ સુધીમાં વાંધા અરજીઓ સ્વીકારવાની છેલ્લી મુદત હતી. 16 બેઠકોમાંથી માત્ર લિંબાયતમાંથી જ આવી સામૂહિક રાજકીય વાંધા અરજીઓ મળી છે. તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને કોઈ પણ પૂર્વગ્રહ વગર ન્યાયી પ્રક્રિયા કરવાની ખાતરી આપવામાં આવી છે. વેરિફિકેશનની કામગીરી અને BLOની ભૂમિકારાજકીય વાંધા અરજીઓના પૂર બાદ હવે બી.એલ.ઓ. (Booth Level Officer) ની કામગીરીમાં મોટો ઉછાળો આવશે. જે પણ અરજીઓ મળી છે, તેના વેરિફિકેશન માટે BLO દરેક મતદારના ઘરે રૂબરૂ જશે. આ પ્રક્રિયામાં મતદારોની પ્રત્યક્ષ હાજરી તપાસવામાં આવશે. જો કોઈને મૃત જાહેર કરવામાં આવ્યા હશે, તો તેમની જીવિત હોવાની પુષ્ટિ કરવામાં આવશે અને જો ખરેખર મૃત્યુ થયું હોય તો જ મરણના દાખલાના આધારે નામ કમી કરવામાં આવશે. સ્થળાંતરિત મતદારો માટેના નિયમોમાત્ર મૃત્યુ જ નહીં, પણ જે લોકો અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાના દાવા સાથે વાંધા ઉઠાવાયા છે, તેમની પણ તપાસ થશે. BLO દ્વારા તે વ્યક્તિ જે-તે સરનામે હાજર છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે. રહેઠાણના પુરાવા અને આધાર પુરાવાઓની ચકાસણી બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. જો વાંધા અરજીમાં આપેલી માહિતી ખોટી જણાશે, તો તે અરજી રદ કરવામાં આવશે અને કોઈ પણ હયાત મતદારનું નામ યાદીમાંથી કમી થશે નહીં.
પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દારૂ પીવાના આરોપસર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તપાસમાં તેઓ નશામાં હોવાનું સાબિત થતાં તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, 23 જાન્યુઆરી, 2026ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ પોલીસ યુનિફોર્મમાં દારૂ પીતા જોવા મળ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસ અધિક્ષક દ્વારા ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની બજવણી કરવા માટે જ્યારે ત્રણેય પોલીસકર્મીઓને પીઆઈની ઓફિસમાં બોલાવવામાં આવ્યા, ત્યારે પણ તેઓ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. નશામાં ઝડપાયેલા પોલીસ કર્મચારીઓમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ બાબરસિંહ ઠાકોર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ખિમજીભાઈ ખરાડી અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહીકુમાર રામાભાઈ પુનડીયાનો સમાવેશ થાય છે. પંચોની હાજરીમાં તેમની તપાસ કરતા તેમની આંખો લાલચોળ હતી અને મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેમની પાસે દારૂ પીવા માટે કોઈ પાસ કે પરમિટ મળી આવ્યું ન હતું. આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર જગદિશભાઈ પંચાલને સોંપવામાં આવી છે.
હિંમતનગરમાં પ્રજાસત્તાક દિનનું રિહર્સલ યોજાયું:કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં તૈયારીઓ
સાબરકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના મોતીપુરમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાની આ ઉજવણી હિંમતનગરના મોતીપુરમાં આવેલી APMC ફાર્મસી કોલેજ કેમ્પસમાં થવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે આ રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન ઉપસ્થિત સૌ દ્વારા રાષ્ટ્રગાન ગાઈ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. આ રિહર્સલમાં જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
હીરા અને કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરમાંથી નાણાકીય છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી રાધાકૃષ્ણ માર્કેટની એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાના મળતિયાઓ સાથે મળીને માલિકના વિશ્વાસનો ખૂન કર્યો છે. આરોપીઓએ છેલ્લા 2 વર્ષ દરમિયાન માલિકની જાણ બહાર પેઢીના બેંક ખાતાઓમાંથી અધધ 3,13,88,701ની રકમ સેરવી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. નોકરી સમયે માલિકનો વિશ્વાસ જીતી લીધોકૈલાશ મહાવીર પ્રસાદ અગ્રવાલની માલિકીની પેઢીમાં આરોપી બલરામ ભવરલાલ ગોદારા છેલ્લા 2 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. બલરામે લાંબા સમય સુધી માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો, જેના કારણે તેને પેઢીના હિસાબી કામકાજ અને બેંકિંગ વ્યવહારોની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વિશ્વાસની આડમાં બલરામે અન્ય 2 શખ્સો, હંસરાજ ગોપાલરામ શર્મા અને શ્રવણરામ ભગવાનરામ સાથે મળીને લાખો રૂપિયાની ઉચાપત કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. ફરિયાદીની પેઢીના કોરા ચેક અને ફોર્મનો દુરુપયોગ કર્યોઆરોપીઓએ છેતરપિંડી કરવા માટે ખૂબ જ ચાલાકીપૂર્વક પદ્ધતિ અપનાવી હતી. ફરિયાદીની પેઢીમાં અગાઉથી સહી કરેલા ચેકો અને RTGS ફોર્મ રાખવામાં આવતા હતા. આરોપી બલરામે આ કોરા ચેકો અને ફોર્મનો દુરુપયોગ શરૂ કર્યો હતો. જે પેઢીઓ સાથે કોઈ વ્યવસાયિક સંબંધ નહોતો, તેવી અન્ય આરોપીઓની પેઢીઓ (શ્રી જય અંબે ટેક્સટાઇલ અને ક્રિષ્ના ટેક્સટાઇલ)ના નામ ફોર્મમાં ભરીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીએ ફરિયાદના ફોનમાંતી OTP પણ મેળવી લીધોઆ રીતે આરોપીઓએ બેંકિંગ સિસ્ટમમાં ગેરરીતિ આચરી ફરિયાદીના નાણાં પોતાના મળતિયાઓના ખાતામાં જમા કરાવ્યા હતા .માત્ર ચેક કે RTGS જ નહીં, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ નાણાંની ચોરી કરવામાં આવી હતી. આરોપી બલરામે ફરિયાદીના મોબાઈલ ફોનને કામના બહાને પોતાની પાસે રાખી, તેમની જાણ બહાર OTP મેળવી લીધા હતા. આ OTP ના આધારે તેણે IMPS દ્વારા અલગ-અલગ સમયે નાણાં પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પેઢીના હિસાબોની તપાસ કરતા કૌભાંડનો પર્દાફાસ થયોફરિયાદીને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ પ્રક્રિયા એટલી ગુપ્ત રીતે થતી હતી કે, લાંબા સમય સુધી આટલી મોટી રકમની ઉચાપતની જાણ થઈ શકી નહોંતી. જ્યારે પેઢીના હિસાબોની તપાસ કરવામાં આવી અને બેંક સ્ટેટમેન્ટમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા, ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં બહાર આવ્યું કે, સ્વસ્તિક ટેક્સટાઇલ, કોમલ ટેક્સટાઇલ અને ઓમ સાઈ ટેક્સટાઇલ જેવી વિવિધ પેઢીઓના નામે પણ ખોટા વ્યવહારો બતાવીને રકમ સેરવવામાં આવી હતી. કુલ મળીને 3 કરોડથી વધુની માતબર રકમની આર્થિક નુકસાની પહોંચાડી આરોપીઓએ અંગત આર્થિક લાભ મેળવ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાઆ ઘટના બાદ વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજા દ્વારા આ મામલે B.N.S. ની વિવિધ કલમો અને આઈટી એક્ટની કલમ 66 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક કાર ચાલકને રોકીને તોડફોડ કરી મારામારી કરી હતી.ગ્યાસપુરના વેપારીની થાર ગાડીને આંતરી 3-4 શખ્સોએ તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે CCTV અને ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. તમે ફાયરિંગ કરીને આવ્યા હોવાનું કહી હુમલો કર્યો ગ્યાસપુરના રહેતો અને પર્સનો વ્યવસાય કરતા શાહનવાજ મોહમ્મદ યાસીન 23મી જાન્યુઆરીની રાત્રે જમાલપુર સ્થિત પોતાની દુકાન વધાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની માલિકીની થાર ગાડી જ્યારે વાસણા પોલીસ સ્ટેશનની હદમાં પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પાછળથી પૂરઝડપે આવેલી એક બ્રેઝા ગાડી એ તેમને ઓવરટેક કરીને આંતર્યા હતા.બ્રેઝા ગાડીમાંથી 3 થી 4 અજાણ્યા શખ્સો નીચે ઉતરી આવ્યા હતા અને શાહનવાજ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.હુમલાખોરોએ એવો વિચિત્ર આક્ષેપ કર્યો હતો કે, તમે પાછળ કોઈ ફાયરિંગ કરીને આવ્યા છો. ત્રણ શખસોએ થારના કાચમાં લાતો મારીફરિયાદીએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ પોતાની પાસેના સાધનો વડે થાર ગાડીના મેઈન ગ્લાસ અને સાઈડ ગ્લાસ પર હુમલો કરી ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. બનાવને પગલે શાહનવાજે રાત્રે અંદાજે પોણા બે વાગ્યાની આસપાસ વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.ફરિયાદીના પરિવારના સભ્ય હાલ સેલ્બી હોસ્પિટલ માં સારવાર હેઠળ હોવાથી વિધિવત તપાસ થોડી વિલંબમાં છે.પોલીસે બ્રેઝા ગાડીના નંબર ના આધારે આરોપીઓને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ હુમલો કોઈ જૂની અદાવતને કારણે થયો છે કે માત્ર રસ્તા પરની બોલાચાલી ની ઘટના છે, તે અંગે પોલીસ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
કોડીનારના ગોહિલની ખાણથી મૂળ દ્વારકા તરફ જતા રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે JCBની મદદથી પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતકની ઓળખ સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના 55 વર્ષીય લખમણભાઈ ખીમાભાઈ ચાવડા તરીકે થઈ છે. જાણવા મળ્યા મુજબ, તેઓ ધામળેજ ગામે એકલા રહેતા હતા, જેથી તેમના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, રાત્રિના સમયે અકસ્માતે પુલ પરથી સરકીને પાણી ભરેલા ખાડામાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હોવાની શક્યતા છે. જોકે, ઘટનાસ્થળની પરિસ્થિતિ શંકાસ્પદ જણાતા હત્યા કે આત્મહત્યાની શક્યતાઓ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં કોડીનાર પોલીસ દ્વારા આ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
IIT ગાંધીનગર (IITGN) દ્વારા 26 જાન્યુઆરી, 2026ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વવિખ્યાત ઉદ્યોગસાહસિક અને ટેકનોલોજી લીડર કંવલ રેખી વિદ્યાર્થીઓ સાથે ‘થિંકિંગ બિગ, બિલ્ડિંગ બોલ્ડ’ વિષય પર પોતાના જીવનના અનુભવો શેર કરશે. આ સત્ર ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વના ગુણો વિકસાવવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક સમાન છે. આ સત્રમાં શ્રી રેખી તેમના દાયકાઓના બહોળા અનુભવમાંથી મેળવેલા મહત્વના બોધપાઠ વિશે વાત કરશે. વિદ્યાર્થીઓને નેતૃત્વ શૈલી, મજબૂત નિર્ણય લેવાની ક્ષમતા અને મુશ્કેલ સમયમાં ટકી રહેવાની કળા (resilience) વિશે સીધું માર્ગદર્શન મળશે. ખાસ કરીને, નૈતિક ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિક જીવનની અનિશ્ચિતતાઓને કેવી રીતે સફળતામાં ફેરવવી, તે અંગે તેઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. ટેકનોલોજી જગતના આ દિગ્ગજ નેતા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવાની વ્યૂહરચનાઓ પણ સમજાવશે. ભારતની વૈશ્વિક ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં તેમનું પ્રદાન અતુલ્ય છે, ત્યારે વિદ્યાર્થીઓને તેમના વ્યવહારુ દ્રષ્ટિકોણથી ભવિષ્યના ટેકનોલોજી સાહસો માટે નવી દ્રષ્ટિ મળશે.
ગાંધીનગર અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે બાલાપીર સર્કલ પાસે લક્ઝરી ટ્રાવેલ્સમાંથી ઉતારેલો દારૂનો જથ્થો રિક્ષામાં કલોલ પહોંચાડે તે પહેલા જ હાઈવે રોડ પર 'Z' આકારે બેરિકેટિંગ કરી અમદાવાદના બે ઈસમને દારૂ બિયરના જથ્થો મળીને કુલ 1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 'Z' આકારે બેરિકેટિંગ કરી નાકાબંધી કરીગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગરની અડાલજ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને સીએનજી રિક્ષામાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એલ. ડી.ઓડેદરાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષા (નં. GJ-27-Y-7097)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને કલોલ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે અડાલજ-મહેસાણા પીકઅપ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પર 'Z' આકારે બેરિકેટિંગ કરી નાકાબંધી કરી હતી. પીળા કલરના પ્લાસ્ટિકના કવરથી વીંટાળેલી પેટીઓ મળી આવીત્યારે રાત્રિના સમયે શંકાસ્પદ રિક્ષા આવતા જ પોલીસે તેને ટોર્ચના ઈશારે રોકી હતી. બાદમાં રિક્ષાની પાછળની સીટ પર તપાસ કરતા પીળા કલરના પ્લાસ્ટિકના કવરથી વીંટાળેલી પેટીઓ મળી આવી હતી. જે ખોલીને જોતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે રિક્ષાચાલક અજય સોમાભાઇ પટણ અને તેની સાથે બેઠેલા અલ્કેશ જયંતીભાઈ પટણી (બંને રહે. કઠવાડા, અમદાવાદ)ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતીા. જથ્થો ભવાની નામની ટ્રાવેલ્સમાંથી ઉતાર્યો હતોપૂછપરછમાં સામે આવ્યું કે, આ દારૂનો જથ્થો અડાલજ બાલાપીર સર્કલ પાસે ભવાની નામની ટ્રાવેલ્સમાંથી ઉતાર્યો હતો. જે અમદાવાદના વોન્ટેડ બુટલેગર કેતનના કહેવાથી તેઓ કલોલ તરફ સપ્લાય કરવા જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી 61 હજાર 560નો દારૂનો જથ્થો, રિક્ષા, મોબાઇલ મળીને કુલ રૂ.1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના સૌથી ચકચારી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે મોટા શેડ બનાવી દેવામાં આવે છે. જેની કોઇપણ પ્રકારની વપરાશ પરવાનગી વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શહેરના ચાંદખેડા TP-44 વિસ્તારમાં SMVS સ્વામિનારાયણ મંદિરની સામે ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ કંપનીના માલસામાનના ગોડાઉનમાં 23 જાન્યુઆરી શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. ઇ-કોમર્સ કંપનીના માલસામાનનું ગોડાઉન ગેરકાયદેસર રીતે બીયુ પરવાનગી વિના વપરાશ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી રદ કરી સીલ માર્યું હોવા છતાં પણ તેનો વપરાશ કરવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ ત્રણ કંપનીઓના વેરહાઉસ એક જ પ્લોટના ગોડાઉનમાં ત્રણ ભાગમાં આવેલા હતા. 23 જાન્યુઆરી શુક્રવારે વહેલી સવારે ગોડાઉનમાં આગ લાગીરાજ્યમાં ગેમ ઝોન જેવા અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નિયમ મુજબના બાંધકામ અને ફાયર NOC લઈને અનેક જગ્યાએ તપાસ કરી કાયદેસરના નિયમ મુજબ બાંધકામ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા હોવા અંગે કડક આદેશ આપ્યા હતા. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિયમ મુજબના કાયદેસર બાંધકામને લઈને ગંભીર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ચાંદખેડા વિસ્તારમાં TP 44માં ફ્લિપકાર્ટ ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જે માલસામાનના ગોડાઉનની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વપરાશ પરવાનગી (બીયુ) આપવામાં આવી નથી. જેને સીલ પણ મારવામાં આવ્યું હતું. AMCએ સીલ માર્યા બાદ પણ ગોડાઉનનો વપરાશ કરાતો હતોઇ-કોમર્સ કંપનીના ગોડાઉનના માલિક દ્વારા જૂન 2025માં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અરજી કરવામાં આવી હતી. 11 ઓગસ્ટ 2025ના રોજ કોર્પોરેશન દ્વારા તેમની અરજી ના મંજૂર કરી દેવામાં આવી હતી. બીયુની અરજી ના મંજૂર કર્યા બાદ વપરાશ બંધ કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા 14 ઓગસ્ટના રોજ નોટિસ આપવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ નોટિસ આપ્યા બાદ પણ વપરાશ બંધ કરવા 19 ઓગસ્ટના રોજ આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સીલ માર્યા બાદ પણ આ ગોડાઉનનો વપરાશ માલિક દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો હતો. એસ્ટેટ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયાચાંદખેડામાં આવેલું ફ્લિપકાર્ટનું ઇ-કોમર્સ કંપનીનું ગોડાઉન પાંચ મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. સરકારી સીલ માર્યું હોવા છતાં પણ કેવી રીતે ગોડાઉનનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો સીલ માર્યું હતું તો ત્યાં ફરીથી વપરાશ શરૂ થયો છે કે કેમ તે અંગે કેમ કોઈ તપાસ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી નહીં. જો સીલ તોડવામાં આવ્યું હતું તો તેમ સીલ તોડનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓ સુધર્યા નહીંશેડ પ્રકારના ગોડાઉનમાં શુક્રવારે ગંભીર આગની ઘટના બની હતી. જોકે સદનસીબે વહેલી સવારે આગ લાગી હતી અને કોઈપણ ત્યારે હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી પરંતુ દિવસ દરમિયાન કામગીરી ચાલી રહી હોય અને ત્યારે જો આ આગ લાગવાની ઘટના બની હોત અને કોઈ જાનહાની થઈ હોત તો એને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ હજી અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રીતે બનતા અને ઉપયોગ થતી મિલકતો સામે કાર્યવાહી કરતા નથી, ત્યારે આવા અધિકારીઓની તપાસ કરવામાં આવે તો અનેક બાબતો સામે આવી શકે છે.
પોરબંદરમાં વિશાલ ગેડીયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. તેણે 19 લોકોના સોના-ચાંદીના દાગીના ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી આશરે ₹1.35 કરોડ હડપ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. કીર્તિ મંદિર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, વિશાલ ગેડીયા લોકો પાસેથી સોનાના દાગીના મેળવીને તેને અલગ-અલગ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકતો હતો. નિયમ અનુસાર, લોનની રકમ દાગીનાના માલિકને મળવી જોઈતી હતી, પરંતુ આરોપીએ ચાલાકીપૂર્વક આ રકમ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. અત્યાર સુધીમાં 19 ભોગ બનનાર વ્યક્તિઓ સામે આવ્યા છે જેમની સાથે આ પ્રકારે છેતરપિંડી થઈ છે. પોલીસને આશંકા છે કે આ કૌભાંડનો ભોગ બનેલા અન્ય ઘણા લોકો પણ હોઈ શકે છે. પોલીસ અધિકારીએ એક અખબારી યાદીમાં જાહેર અપીલ કરી છે. જો કોઈ અન્ય વ્યક્તિએ પણ વિશાલ ગેડીયા પાસે પોતાના સોના-ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હોય અથવા તેની સાથે કોઈ આર્થિક વ્યવહાર કર્યો હોય અને તેમાં છેતરપિંડી થઈ હોય, તો તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. છેલ્લા છ મહિનામાં વિશાલ ગેડીયાએ અનેક લોકોને નિશાન બનાવ્યા છે. જેમાં ખાંભોદર વાડી વિસ્તારના આતિયા મસરી ગોઢાણીયાના ₹8 લાખ રોકડા, કોલીખડાના જીગર ઉમેશ પંડયાનું ₹67,344નું સોનું, લીમડાચોકના વૈશાલીબેન વિશાલભાઈ ઓડેદરાનું ₹13.40 લાખનું સોનું, બોખીરાના દેવશી દુલા ગોરાણીયાનું ₹4.60 લાખનું સોનું, પાવની સીમના વીજુબેન રાણાજી ઓડેદરાનું ₹5.83 લાખનું સોનું, ભડ ગામના રમેશ ગીગા મોઢવાડીયાનું ₹3.73 લાખનું સોનું, કલ્યાણપુરના કિશન લક્ષ્મણ ચેતરીયાનું ₹13.97 લાખનું સોનું અને ₹1 લાખ રોકડા, તેમજ નરસંગ ટેકરીના ઋષિરાજસિંહ જગદીશસિંહ જાડેજાના ₹3 લાખ રોકડાનો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓએ દાગીના બનાવવા કે ખરીદવા માટે રોકડ અને ઘરેણાં આપ્યા હતા, જેનો કુલ આંકડો ₹1.35 કરોડથી વધુ થાય છે.
છોટા ઉદેપુરમાં ગૌહત્યા કેસના એક આરોપીને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી છોટા ઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ કરવામાં આવી છે. આ કેસ છોટા ઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાન સાથે સંબંધિત છે, જ્યાં ગેરકાયદેસર કતલખાનું ચલાવવામાં આવતું હતું. છોટા ઉદેપુર ટાઉન પોલીસે અહીં દરોડો પાડીને 361.45 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે રૂ. 72,290/- હતી. આ દરોડા દરમિયાન ગેરકાયદે કતલખાનું ચલાવતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈકી, આરોપી અબ્દુલકાદીર ઇબ્રાહીમભાઇ સાબુ વિરુદ્ધ છોટા ઉદેપુર જિલ્લા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા પાસા હેઠળ અટકાયત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર કરતા, અબ્દુલકાદીર ઇબ્રાહીમભાઇ સાબુની પાસા હેઠળ અટકાયત કરીને તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પીપલ ટ્રી ફાઉન્ડેશન દ્વારા ગોધરામાં સંચાલિત CSR તાલીમ યોજના હેઠળ 525 યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ પૂર્ણ કરનાર 365 યુવાનોને સફળતાપૂર્વક રોજગારી મળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ યુવક-યુવતીઓને મફત શિક્ષણ અને નિશ્ચિત રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો છે. પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જેવા અંતરિયાળ અને પછાત વિસ્તારોના યુવાનોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. સંસ્થા દ્વારા વર્ષ 2024 થી 2026 દરમિયાન કુલ 525 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (આરોગ્ય સંભાળ) અને મલ્ટી સ્કિલ ટેકનિશિયન જેવા રોજગારલક્ષી કોર્સ સંપૂર્ણપણે વિનામૂલ્યે શીખવવામાં આવે છે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ તાલીમ કેન્દ્ર ગોધરામાં બામરોલી રોડ પર, ચંદન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા શિવ શક્તિ કોમ્પલેક્ષ ખાતે કાર્યરત છે.
સુરતના ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં આજે (24 જાન્યુઆરી) રસ્તા પર ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા હતા, જ્યાં એક દંપતી વચ્ચેના પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી પતિ અને પત્ની વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા હતા, જેને ઉકેલવા માટે બંને પક્ષના સગા-સંબંધીઓ અને પરિચિતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. શરૂઆતમાં વાતચીત દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચર્ચા દરમિયાન ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં આ દલીલોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના લોકો એકબીજા પર દંડા લઈને તૂટી પડ્યા હતા. મારામારી શરૂ થતાં તંગદિલી ફેલાઈઘટના એટલી ગંભીર હતી કે, રસ્તા પરથી પસાર થતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા. વિવાદ વધતા બંને પક્ષના લોકોએ જે હાથમાં આવ્યું તેનાથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, કોઈ વ્યક્તિ હેલ્મેટથી સામેના પક્ષને ફટકારી રહ્યો હતો, તો કોઈ લાતો અને મુક્કા વડે પ્રહાર કરી રહ્યું હતું. આ હિંસામાં લાકડીઓ અને હેલ્મેટનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાહેર માર્ગ પર ચાલી રહેલી આ મારામારીના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને વાતાવરણમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. લોકો આ દૃશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યોઆ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળતા જ ઉત્રાણ પોલીસનો મોટો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના આવવાથી મચાવેલી ધમાલ શાંત પડી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મારામારીમાં સામેલ બંને પક્ષના તમામ લોકોને કોર્ડન કરીને અટકાયતમાં લીધા હતા. સ્થળ પર વેરવિખેર પડેલા હેલ્મેટ અને લાકડીઓ પોલીસે કબ્જે કર્યા હતા અને તમામ લોકોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જેથી મામલો વધુ ન વણસે. તમામ લોકો સામે અટકાયતી પગલા લીધાઃ SPઉત્રાણ પોલીસ મથકના પીઆઈ દિગ્વિજયસિંહ બારડે આ ઘટના અંગે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, દંપતી વચ્ચેના અંદરોઅંદરના વિવાદના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા. પરંતુ આ દરમિયાન વાતચીત વણસી ગઈ હતી અને એક પક્ષના લોકોએ ગુસ્સામાં આવી જઈ હુમલો કરતા મામલો બિચક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસે હાલ તમામ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના બગદાણામાં નવનીત નામના કોળી સમાજના યુવાન પર થયેલ હુમલા કેસમાં સરકારે SITની રચના કર્યા બાદ જયરાજ આહીરની પણ પુછપરછ કરવામાં આવ્યા બાદ આ વિવાદ શાંત થવા બદલે ઉગ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન બોલાવવા જાહેરાત કરવામાં આવી છે. ‘આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં’જો કે આ આંદોલન અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક બે વ્યક્તિના કહેવાથી સમાજ ન જોડાઈ શકે, ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન ક્યાં હેતુંથી બોલાવવામાં આવ્યું તે હજુ સ્પષ્ટતા નથી, હક્ક અને અધિકાર માટે બોલાવવામાં આવે પણ તેનો હેતુ શું તે જાહેર હોવું જોઈએ, આમંત્રણ મળશે પછી વિચારીશું જવું કે નહીં. બગદાણા કેસમાં SIT તપાસ કરે છે હજુ તપાસ શરૂ છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા દોષિત જે પણ હશે તેને છોડવામાં નહિ આવે તેવી સાંત્વના આપી છે માટે તપાસ પૂર્ણ થાય પછી ચર્ચા કરવી જોઈએ. હાલ હજુ આ તપાસ પણ ચાલુ છે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કોઇ સંમેલનનું આયોજન ન થવું જોઈએ. ‘આ કેસની હજુ તપાસ પૂર્ણ થઈ નથી માટે એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી જોઈએ નહીં’કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, બગદાણા ખાતે કોળી સમાજના યુવાનને માર મારવાના કેસમાં SITની રચના કરવામાં આવી છે અને આ તપાસ હજુ પણ ચાલુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ તપાસમાં જે કોઈ કસૂરવાર સાબિત થશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે આ કેસની હજુ તપાસ પૂર્ણ થઈ નથી માટે એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી જોઈએ નહીં. તપાસ દરમિયાન જે કોઈ લોકોના વધુ નામ આપવામાં આવ્યા છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે માટે તપાસના અંતે આગળની જે કંઈ પણ રજૂઆત હશે તે સરકારના ધ્યાને મૂકવામાં આવશે. ‘હું કદાચ પોતે પણ એકલો જાહેરાત કરું તો પણ સમાજ ન આવે’બાવળીયાએ વધુમાં કહ્યું કે, આ કેસમાં પણ આગામી દિવસોમાં જરૂર જણાય તો સંમેલન પણ કરવામાં આવશે પરંતુ હાલમાં મુખ્યમંત્રીએ આપેલા ભરોસાને માન્ય ગણાય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ સંમેલનની જાહેરાત માન્ય ગણવી જોઈએ નહીં. ‘જે સંમેલન મળવાનું છે તેની જાણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને પણ નથી’સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બગદાણાના કેસમાં મુખ્યમંત્રીએ SIT રચનાની જાહેરાત કરી છે અને SIT આ મુદ્દે તપાસ પણ કરી રહી છે. હજુ તપાસ પૂર્ણ થઈ નથી, માટે આ અંગે કોઈ પણ પ્રકારે નિવેદન કરવું જોઈએ નહીં. કોઈ એક કે બે વ્યક્તિની વ્યક્તિગત જાહેરાતથી સમાજ એકત્રિત થાય તે જરૂરી નથી ભાવનગર ખાતે જે સંમેલન મળવાનું છે તેની જાણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને પણ નથી. ‘સંમેલનની જાણ કે એજન્ડા હજુ સુધી કોઈપણ સંગઠન સુધી પહોંચ્યો નથી’ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ ભાવનગરના સંમેલનની જાણ કે એજન્ડા હજુ સુધી કોઈપણ સંગઠન સુધી પહોંચ્યો નથી માટે આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાની કોઈ વાત હાલના તબક્કે નથી. જો યોગ્ય રજૂઆત થશે દરેક સમાજ સંગઠન એક થઈ નક્કી કરશે તો સંમેલનમાં જોડાશે, વ્યક્તિગત જાહેરાતથી સમાજ સંમેલનમાં આવે તે જરૂરી નથી. ‘સમાજને કોઈ રોકી ન શકે સમાજ તેના હક અને અધિકાર માટે લડી શકે છે’ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, બગદાણામાં જે ચાલી રહ્યું છે તેને લઈ પાર્ટીના તમામ ધારાસભ્યોએ અને લોકોએ રજૂઆત સરકારને કરી છે. સરકારે SITની રચના કરી છે. 'ત્યાંના આયોજક દ્વારા મને આમંત્રણ પાઠવવામાં આવશે તો હું ચોક્કસથી સંમેલનમાં જઈશ'વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, SITનો રિપોર્ટ હજુ આવ્યો નથી એટલે એ વિષય પર આપણે કાંઈ કહી શકાય નહીં. SITનો રિપોર્ટ આવ્યા પછી કહી શકાય. સમાજનું જે આયોજન છે અને ત્યાંના આયોજક દ્વારા મને આમંત્રણ પાઠવવામાં આવશે તો હું ચોક્કસથી સંમેલનમાં જઈશ. SITનો રિપોર્ટ આવ્યા વગર તેના પર કોઈ વાત કરવી મને યોગ્ય લાગતી નથી. અમારા કોળી સમાજમાં ધીમે ધીમે એકતા થાય છે. ધીમે ધીમે સમાજમાં એજ્યુકેશન વધતું જાય છે. શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે. કોળી સમાજમાં ઓછી ટિકિટો આપવામાં આવતી હવે બધી જ પાર્ટીમાં ટિકિટો કોળી સમાજને વધુ પ્રમાણમાં આપવામાં આવી રહી છે. 2027ની ચૂંટણીમાં પ્રયત્નો કરશું કે વધારે કોળી સમાજમાં ટીકીટો મળે જેથી કોઈની તાકાત નથી કે કોળી સમાજના મુખ્યમંત્રી બનતા અટકાવી શકે. 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન:નવનીત બાલધિયાએ સમાજને જોડાવા હાંકલ કરીબગદાણા ધામના ચકચારી હુમલાની ઘટના શાંત પડવાની જગ્યાએ વધુ ઉગ્ર બની રહી છે. ભોગબનનાર નવનીત બાલધિયાના સમર્થનમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર શહેરના અક્ષરપાર્ક કુંભરવાડા ખાતે મળવા જઇ રહ્યું છે. નવનીત બાલધીયાએ સમાજના તમામ આગેવાનો-લોકોને જોડાવા વીડિયો મારફતે હાંકલ કરી છે. શું છે સમગ્ર મામલો?બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતાં મેં મારા ચાર-પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ એની તપાસ કરે. નવનીત બાલધિયાએ કહ્યું હતું- ‘હુમલામાં જયરાજનો હાથ’નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SITની રચના બાદ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યાં છે. 17 જાન્યુઆરીએ બે પોલીસ ઈન્સ્પેક્ટરના નિવેદન લેવાયાં બાદ 19 જાન્યુઆરીને સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા. SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે, સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું. (સંપૂર્ણ સમાચાર વાંચો) મને જ્યારે બોલાવવામાં આવશે, ત્યારે હું જવાબ આપવા હાજર રહીશઃ જયરાજતો બીજી તરફ માયાભાઈના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા 21 જાન્યુઆરીએ SIT સમક્ષ હાજર થયો હતો. SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબા મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે, ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ. નવનીત બાલધિયા હુમલા કેસમાં ધરપકડનો આંક 13 થયોબગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં ધરપકડનો આંક કુલ 13એ પહોંચ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર ખાતે 25 જાન્યુઆરીના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને દોડવીરો સહિત 2000 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. 6 કિલોમીટરની આ મેરેથોન દરમિયાન ચાર સ્ટોલ ઉભા કરવામાં આવશે. સાબરકાંઠા ટ્રાફિક વિભાગના PSI એ.વી. જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મેરેથોન દોડનો પ્રારંભ 25 જાન્યુઆરીના રોજ સવારે 6 કલાકે હિંમતનગર સ્થિત એસપી ઓફિસ સામેના સાયબર પોલીસ સ્ટેશનથી થશે. જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ આ દોડમાં જોડાશે. આ 6 કિલોમીટરની મેરેથોન દોડ પોસ્ટ ઓફિસ, ટાવર સર્કલ, મહાવીરનગર સર્કલ, છાપરિયા ચાર રસ્તા, મોતીપુરા કેનાલથી બસસ્ટેન્ડ થઈને હેડ ક્વાર્ટર પરત પહોંચી પૂર્ણ થશે. દોડના માર્ગ પર ચાર સ્થળોએ સ્ટોલ ઉભા કરાશે. આ સ્ટોલ પોસ્ટ ઓફિસ, મહાવીરનગર, ખેડ તાસિયા રોડ પરના પેટ્રોલ પંપ અને ઉમાશંકર રેલવે ઓવરબ્રિજના છેડે પ્લુટો હોસ્પિટલ પાસે હશે. આ સ્ટોલ પર મેડિકલ સુવિધા, પાણી, એનર્જી ડ્રિંક્સ અને સાઉન્ડ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે, જેમાં પોલીસ જવાનો પણ સેવા આપશે.
ગોધરા તાલુકાના વાવડી રેલવે સ્ટેશન નજીક LC 64 અંડરપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ગોધરા-આણંદ રૂટ પર હાથ ધરવામાં આવી રહી છે. રેલવે દ્વારા 'ફાટક મુક્ત ભારત' અભિયાન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે ફાટક પર થતા અકસ્માતો ઘટાડવાનો અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો છે. અંડરપાસના નિર્માણ કાર્યને કારણે હાલમાં રેલવે ફાટક પરની અવરજવર બંધ કરવામાં આવી છે. જેના કારણે વાવડી અને તેની આસપાસના ગામોના વાહનચાલકોને અવરજવરમાં થોડી મુશ્કેલી પડી શકે છે. આ કામગીરીને કારણે કઠોડિયા, મહેલોલ, રાયસિંગપુરા, છોગાળા, પતંગડી, વાવડી રેલવે સ્ટેશન નવી વસાહત સહિતના ગામના લોકોને હાલ 5 થી 7 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડી રહ્યું છે. એકવાર અંડરપાસ તૈયાર થઈ ગયા પછી, ટ્રેનને કારણે વારંવાર ઊભા રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને અકસ્માતનો ભય પણ ઘટશે. સ્થાનિકો દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
વસ્તી ગણતરીની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકારને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે સંઘ દ્વારા વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિતની આ મહત્ત્વની કામગીરીમાં સંઘ સાથે જોડાયેલા અંદાજે 1 લાખ 20 હજાર શિક્ષકો જોડાશે. શિક્ષકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા સૂચનાપરેશ પટેલે જણાવ્યું કે, વસ્તી ગણતરી તેમજ SIR જેવી કામગીરી દરમ્યાન શિક્ષકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સંઘે સરકાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી છે. કામગીરી દરમિયાન શિક્ષકોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરવામાં આવી છે અને તેના ઉકેલ માટે સૂચનો આપવામાં આવ્યા છે. અન્ય 26 કેડરના કર્મીીઓને પણ વસ્તી ગણતરીની જોડવા રજૂઆતમહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન ધરપકડ, વોરંટ કે નોટિસ જારી ન કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. ઉપરાંત, કામગીરી સરળ બને તે માટે દરેક ટીમને એક સહાયક આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારના અન્ય 26 કેડરના કર્મચારીઓને પણ વસ્તી ગણતરીની કામગીરીમાં જોડવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હોવાનું મહાસંઘે જણાવ્યું છે.
સરકાર દ્વારા 'અમૃત સરોવર' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ગોધરા તાલુકાના ટુવા ગામમાં સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. તંત્રની ઉદાસીનતાના કારણે ગામનું મુખ્ય તળાવ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે, જે હવે સ્થાનિક રહીશો અને શાળાના બાળકો માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. સફાઈના અભાવે દુર્ગંધનું સામ્રાજ્યલાંબા સમયથી જાળવણીના અભાવે તળાવમાં જંગલી વનસ્પતિ અને ગંદા પાણીનો ભરાવો થયો છે. આ સ્થગિત પાણીને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષથી તળાવની સફાઈ અને બ્યુટીફિકેશન માટે વારંવાર દરખાસ્તો કરવામાં આવી છે, તેમ છતાં ઉચ્ચ કક્ષાએથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો માટે ‘મોતનો કૂવો’આ તળાવની ચિંતાજનક બાબત એ છે કે તેની બિલકુલ નજીક જ ગામની પ્રાથમિક શાળા આવેલી છે. તળાવની ફરતે પ્રોટેક્શન વોલ કે ફેન્સિંગ જેવી કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સુરક્ષાનો અભાવ: તળાવ ખુલ્લું હોવાથી શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય રહે છે. વાલીઓમાં ફાળ: રિસેસ દરમિયાન બાળકો રમતા-રમતા તળાવમાં ખાબકે તેવી શક્યતાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. તંત્રની અનિચ્છા સામે સવાલએક તરફ રાજ્ય સરકાર જળાશયોના ઊંડા સફાઈ અને સૌંદર્યીકરણના દાવા કરે છે, ત્યારે ટુવા ગામના આ તળાવની હાલત તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને તળાવની ફરતે સંરક્ષણ દીવાલ બનાવી સત્વરે સફાઈ કામગીરી હાથ ધરે.
મોરબીમાં OLX પર ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને એક વૃદ્ધ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના ગ્રીનચોક પાસે આવેલી નાની હનુમાન શેરીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉંમર 68) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા (રહે. આશુતોષ હાઈટ્સ, બ્લોક નં. 101, કાયાજી પ્લોટ, સનાળા રોડ, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન પરથી OLXમાં ફ્લેટ વેચવા માટે જાહેરાત મૂકી હતી. ફરિયાદી અને સાહેદો ફ્લેટ જોવા અને ખરીદવા ગયા ત્યારે તેમને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફ્લેટ પર બેંકમાંથી મોટી લોન લીધેલી હોવા છતાં તે હકીકત છુપાવવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો અને તેના બદલામાં મોટી રકમ મેળવી લીધી હતી. આરોપીઓએ અગાઉથી કાવતરું રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. બનાવટી સાટાખત હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા સાટાખત તરીકે ઉપયોગ કર્યો હતો. વૃદ્ધની ફરિયાદના આધારે પોલીસે દંપતી અને તેમના દીકરા સામે ગુનો નોંધી આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાની ધરપકડ કરી હતી. તપાસનીસ પીએસઆઈ હરદેવસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીને કોર્ટમાં રજૂ કરાતા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
કોરોના મહામારી બાદ હવે દેશમાં એક વધુ જીવલેણ વાયરસે ચિંતા વધારી છે. ભારતના વિવિધ રાજ્યોમાં નિપાહ વાયરસના કેસો સામે આવી રહ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના કેસ નોંધાતા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સંક્રમણને ફેલાતું અટકાવવા પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ચામાચીડિયાંમાંથી નિપાહ વાયરસ ફેલાઈ છેનિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. ખાસ કરીને ચામાચીડિયાંને તેનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. નિપાહ વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો સામાન્ય રીતે 4થી 14 દિવસમાં દેખાય છે. શરૂઆતમાં દર્દીને તાવ અને માથાનો દુખાવો થાય છે. ત્યારબાદ ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવી શ્વસન સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં મગજનો ચેપ એટલે કે એન્સેફેલાઇટિસ થવાની પણ શક્યતા રહે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. WHOએ સાવચેત રહેવા જણાવ્યું આ તરફ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ નિપાહ વાયરસ અંગે ચેતવણી આપી છે અને દેશોને સાવચેત રહેવા જણાવ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ નિપાહ વાયરસના 5થી વધુ કેસો સામે આવ્યા છે, જેના પગલે 100થી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. WHO અનુસાર નિપાહ વાયરસ અત્યંત ગંભીર અને ઘાતક છે, તેથી સમયસર ઓળખ અને સારવાર અત્યંત જરૂરી છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને લક્ષણો જણાય તો તરત ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે.
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહીરને નિવેદન નોંધવા માટે આજે બપોરે 3 વાગ્યે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ હાજર થયો છે. SIT દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા જયરાજ આહીરની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ કલાક પુછપરછ ચાલી હતીત્રણ દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયો હતો. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરી હતી. તે સમયે SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ. (સંપૂર્ણ સમાચાર વાંચો) નવનીત બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું. (સંપૂર્ણ સમાચાર વાંચો) નવનીત બાલધિયા હુમલા કેસમાં ધરપકડનો આંક 13 થયોબગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં ધરપકડનો આંક કુલ 13એ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો?બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતાં મેં મારા ચાર-પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ એની તપાસ કરે.
દાહોદમાં આખલાઓના યુદ્ધમાં એકનું મોત:રેલવે વિભાગે મૃત આખલાને ટ્રેક્ટરથી ઘસડ્યો, વીડિયો વાઈરલ
દાહોદ શહેરમાં રખડતા ઢોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા બી-કેબિન વિસ્તારમાં રવિવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. બે આખલાઓ વચ્ચે ખેલાયેલા લોહિયાળ જંગમાં એક આખલાએ જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દુખદ ઘટના બાદ તંત્રની જે સંવેદનહીનતા સામે આવી છે તેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. મૃત પશુના દેહને ટ્રેક્ટર પાછળ બાંધીને જાહેર માર્ગો પર ઘસડવામાં આવતા રેલવે વિભાગ સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. યુદ્ધમાં આખલાનું કરુણ મોતસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બી-કેબિન વિસ્તારમાં લાંબા સમયથી રખડતા ઢોરોનો જમાવડો રહે છે. ગત રોજ બે શક્તિશાળી આખલાઓ એકબીજા સાથે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ લડાઈ દરમિયાન રેલવે વિભાગ દ્વારા કામગીરી અર્થે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં એક આખલો અચાનક ખાબક્યો હતો. ખાડો ઊંડો હોવાથી અને પડવાની ગંભીર ઈજાઓને કારણે આખલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે જેસીબીની મદદથી ભારે જહેમત બાદ મૃત દેહને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. રેલવે તંત્રની અમાનવીયતા સામે સવાલનગરપાલિકાએ આખલાને બહાર તો કાઢ્યો, પરંતુ ત્યારબાદની કામગીરીમાં રેલવે વિભાગે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. મૃત પશુના દેહનો યોગ્ય નિકાલ કરવાને બદલે, રેલવે વિભાગના કર્મચારીઓ દ્વારા આખલાના પગ દોરડા વડે ટ્રેક્ટર પાછળ બાંધી દેવામાં આવ્યા હતા. આ મૃતદેહને માનવીય અભિગમ રાખ્યા વગર જાહેર રસ્તાઓ પર નિર્દયતાથી ઘસડીને લઈ જવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા. જવાબદારો સામે કાર્યવાહીની ઉગ્ર માગઆ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ દાહોદવાસીઓમાં રેલવે તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી જન્મી છે. જીવતા પશુઓનો ત્રાસ તો સહન કરવો જ પડે છે, પરંતુ મૃત્યુ બાદ પશુ સાથે આવું વર્તન અસ્વીકાર્ય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, રખડતા ઢોરોના મુદ્દે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને પશુ પ્રત્યે ક્રૂરતા દાખવનાર જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે.
ગોધરામાં આવેલી ડિવાઇન વર્ડ કિન્ડરગાર્ડન સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે 24 જાન્યુઆરી, 2026ના રોજ જુનિયર અને સિનિયર કેજીના નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા સાથે ડાન્સ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓએ તિરંગાની થીમ પર આધારિત વેશભૂષા સાથે ડાન્સ પર્ફોર્મન્સ આપ્યા હતા. આ ઉપરાંત, જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા કરાટેના કરતબ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યોગેશભાઈ પાટીલ, ડિવાઇન વર્ડ કિન્ડરગાર્ડન સ્કૂલના બ્રધર કિશોર અને સિસ્ટર જોયેશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ યોગેશભાઈ પાટીલ અને બ્રધર કિશોરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કરાટેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાના ભૂલકાઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનિયર અને સિનિયર કેજીના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એલ.સી.બી. પાટણ દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને રાજ્યની અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં રખડતા ઢોર મૂકી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પાડનારા અને ફરજ બજાવતા નગરપાલિકાના રાજ્યસેવકો પર હુમલો કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને પી.સી.સી. સેલ પાટણ દ્વારા ચાર શખ્સોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી ચારેય ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલોમાં મોકલવાનો આદેશ કર્યો હતો. પાસા હેઠળ અટકાયત કરાયેલા શખ્સોમાં રોહિત માતમભાઈ ભરવાડ (રહે. રંગીલા હનુમાન પાછળ, પાટણ) નો સમાવેશ થાય છે, જેની વિરુદ્ધ પાટણ સીટી એ અને બી ડિવિઝનમાં હુમલા અને પાલિકાના કાયદા ભંગના ગુના નોંધાયેલા છે. તેને સુરત મધ્યસ્થ જેલ મોકલાયો છે. બીજા અટકાયતી બચુ જામાભાઈ ભરવાડ (રહે. કનસડા દરવાજા, પાટણ) વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાથી તેને અમરેલી મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે. ત્રીજા શખ્સ યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ (રહે. શાહવાડો, પાટણ) ને દાહોદ મધ્યસ્થ જેલ અને ચોથા શખ્સ મહેશ ઉર્ફે મશો ભલાભાઈ ભરવાડ (રહે. ધાંધલની શેરી, પાટણ) ને વલસાડ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પી.આઈ. એચ.ડી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ગુજરાતમાં આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ (આપ) દાહોદ જિલ્લામાં આક્રમક રણનીતિ અપનાવી ભાજપના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પાડવાનું શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન ભાજપની કાર્યશૈલીથી નારાજ 2 ચાલુ સરપંચોએ કેસરીયો છોડી વિધિવત રીતે ‘ઝાડુ’ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચૈતર વસાવાની હાજરીમાં પક્ષ પલટોડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આ રાજકીય ફેરબદલ યોજાયો હતો. નિનામા પ્રતાપભાઈ: સરપંચ, કાળીમહુડી ગામ મનોજભાઈ ભાભોર: સરપંચ, લીલવાદેવા ગામ બંને નેતાઓએ ભાજપની નીતિઓ અને સ્થાનિક વિકાસના મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પારદર્શક શાસન અને જનસંવાદના અભાવે તેઓએ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. ‘આપ’ની સંગઠનાત્મક રણનીતિ સફળઆ પક્ષ પલટા પાછળ આમ આદમી પાર્ટીનું સુચિત આયોજન હોવાનું મનાય છે. જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ડામોરના નેતૃત્વમાં ગ્રામ્ય સ્તરે ચાલી રહેલા સંપર્ક અભિયાનને કારણે ભાજપના પરંપરાગત મતદારો અને સ્થાનિક નેતાઓમાં ‘આપ’ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાનો વધતો પ્રભાવ ભાજપ માટે સીધો પડકાર સાબિત થઈ રહ્યો છે. ભાજપ માટે ચિંતા અને કોંગ્રેસ હાંસિયામાંજિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિમાં અત્યારે કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાતી નથી, જેને કારણે મુખ્ય જંગ ભાજપ અને ‘આપ’ વચ્ચે ખેલાઈ રહ્યો છે. ચાલુ સરપંચોનું રાજીનામું એ માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ ગ્રામીણ સ્તરે બદલાતા જનમતના સંકેત છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નુકસાનની ભરપાઈ કરવા કેવા પગલાં ભરે છે.
બનાસકાંઠા પોલીસે સાયકલ રેલી યોજી:રોડ સેફ્ટી અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસે આજે રોડ સેફ્ટી માસ અને 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હતો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધી યોજાયેલી આ રેલીમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ 20 કિલોમીટર સાયકલ ચલાવીને નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવાનો અને સાયકલ ચલાવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસ દરમિયાન રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. 'ફિટ ઇન્ડિયા' મુવમેન્ટને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસે આ સાયકલ રેલીનું આયોજન કર્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માર્ગ પોતાના અને અન્ય માટે વધુ સલામત બને છે. સાયકલ ચલાવીને સ્વસ્થ રહીએ અને માર્ગ સલામતીનું પણ ધ્યાન રાખીએ, એ જ આજનો મુખ્ય સંદેશ છે. રેલી દરમિયાન લોકોને માર્ગ સલામતી, હેલ્મેટ, સીટબેલ્ટ, સ્પીડ લિમિટ અને જવાબદાર ડ્રાઇવિંગના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નાગરિકોએ પણ આ રેલીને ઉત્સાહપૂર્વક આવકારી સહકાર આપ્યો હતો.
જામનગર શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે. આ ઠંડા પવનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાત્રિ દરમિયાન શહેરના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. વહેલી સવારે પણ લોકોની અવરજવર ઓછી જોવા મળે છે, અને જે લોકો બહાર નીકળે છે તેઓ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને નીકળી રહ્યા છે. સાંજના સમયે પણ બરફીલા પવનના કારણે લોકો વહેલાસર ઘરની વાટ પકડી લે છે, જેના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર સન્નાટો છવાઈ જાય છે. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે, જેના કારણે દરરોજ સવાર ઝાકળભીની હોય છે અને માર્ગો પણ ભીના રહે છે. આ ઝાકળભીના માર્ગો પર વહેલી સવારે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે, હવામાન વિભાગ દ્વારા ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી દર્શાવવામાં આવી રહ્યો છે, પરંતુ નગરજનોનો મત છે કે વાસ્તવિક ઠંડી આ આંકડા કરતાં વધુ છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું, જ્યારે પવનની સરેરાશ ગતિ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.
પ્રયાગરાજના માઘ મેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના અનુયાયીઓ સાથે કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણમાં બ્રહ્મસમાજ અને અન્ય સમાજના આગેવાનોએ પ્રતીક ધરણા યોજ્યા હતા. શંકરાચાર્યના સમર્થનમાં એકત્ર થયેલા લોકોએ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પાટણમાં પણ પડ્યા છે. પાટણના જગન્નાથ મંદિર ખાતે બ્રહ્મસમાજની સાથે અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકાર સામે વિરોધ દર્શાવવા પ્રતીક ધરણા પર બેઠા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, પવિત્ર ધાર્મિક પ્રસંગે પોલીસે બ્રાહ્મણોની ચોટી ખેંચી અને માર મારીને અપમાનિત કર્યા છે. પાટણ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, માઘ મેળો કુંભ મેળા જેટલું જ મહત્વ ધરાવે છે. આવા પવિત્ર અવસરે કરોડો હિન્દુઓની હાજરીમાં પોલીસ દ્વારા સર્વોચ્ચ ધર્મગુરુ સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અસ્વીકાર્ય છે. તેમણે સરકારના મૌન સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પાટણના નગરદેવી કાળી મંદિરના પૂજારી અશોક વ્યાસ સહિતના અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. શંકરાચાર્યના સમર્થનમાં પાટણમાં 2 દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના દ્વારા શક્તિ પ્રદર્શન અને વિરોધ નોંધાવવામાં આવશે.
ભરૂચ જિલ્લાના બંબુસર ગામ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોએ પાવરગ્રીડ અને જેટકો દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ-ટેન્શન વીજ લાઈનોના કામ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ કામમાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કાયદાકીય પ્રક્રિયાઓને અવગણીને એકતરફી રીતે કામ શરૂ કરવામાં આવ્યું છે, જે તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. પાવરગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈ-ટેન્શન લાઈન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ જમીનધારક ખેડૂતોને અગાઉથી કોઈ લેખિત નોટિસ આપવામાં આવી નથી. કોઈપણ સંમતિ કે ચર્ચા વિના સીધું કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, કલેક્ટર કચેરીમાં દાખલ કરાયેલી અરજીઓ કે ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી નથી. આના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, અનેક કિસ્સાઓમાં તેમને સાંભળ્યા વિના જ એકતરફી (Ex-parte) હુકમો પસાર કરવામાં આવ્યા છે. બંબુસર ગામના ખેડૂતોએ એવો પણ દાવો કર્યો છે કે, કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સુનાવણીની નોટિસ પણ તેમને આપવામાં આવી ન હતી. સુનાવણી અંગે જાણ ન હોવાથી ખેડૂતો પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા, જે ન્યાયપ્રક્રિયાની ગંભીર ખામી દર્શાવે છે. ખેડૂતોએ અન્ય એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે કેટલાક કેસોમાં ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હોવાની આશંકા છે. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે ખોટા અથવા ગેરમાર્ગે દોરતા અહેવાલ રજૂ કરીને એકતરફી નિર્ણયો લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આવા કેસોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોના અધિકારોનું દમન ન થવું જોઈએ. તેમની માંગ છે કે, પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે, ખેડૂતોને પૂરતું સાંભળવામાં આવે અને જમીનના વળતર સહિત તમામ કાયદાકીય હક્કોનું રક્ષણ કરવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમને સાંભળ્યા વિના એકતરફી હુકમો પસાર કરવાનું બંધ નહીં થાય અને ખોટા રિપોર્ટ અંગે તપાસ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ માટેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી શિક્ષકોનું મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ટેકનિકલ જ્ઞાન અને વાંચન-લેખનની ચકાસણીમુલાકાત દરમિયાન મંત્રીએ શાળાની કમ્પ્યુટર લેબમાં જઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની કસોટી કરી હતી. તેમણે બાળકો સાથે કમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે ધોરણ 3 અને 4 ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ શિક્ષકોને સૂચન કર્યું હતું કે, વર્ગખંડમાં બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમની રુચિ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવો જોઈએ. આત્મીય સંવાદ અને કીટ વિતરણશાળાની સુવિધાઓ અંગે મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી પ્રતિભાવો મેળવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજનની ગુણવત્તાની તપાસઅંતમાં, મંત્રીએ મધ્યાહન ભોજન ખંડની મુલાકાત લઈ ખોરાકની ગુણવત્તા અને સાપ્તાહિક મેનુની તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે, બાળકોને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળવો જોઈએ. ભોજન વ્યવસ્થા અને સ્વચ્છતામાં કોઈપણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં.
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદના રૂ. 1200 કરોડના પ્રોજેક્ટના કામગીરી પર ભાજપના ધારાસભ્યના કારણે બ્રેક વાગી ગઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે જે દરમિયાનમાં દસ્ક્રોઇ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા ખારીકટ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. કામગીરી ચાલુ હોવાના વચ્ચે ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતા મશીનરી બહાર કાઢી અને કામગીરી બંધ કરવી પડી છે. કેનાલની અંદરના ભાગે જે કામગીરી કરવાની બાકી રહી છે જે કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. ખારીકટ કેનાલની 50 મીટરની જ કામગીરી બાકી હતું ને પાણી છોડી દેવાયુંમ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ખારીકટ કેનાલની 50 મીટરની જ કામગીરી બાકી છે. એક અઠવાડિયાથી 15 દિવસ સુધીના સમયમાં કામગીરી પૂર્ણ થઈ જાય એટલું કામ બાકી હતું છતાં પણ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડી દેવામાં આવ્યું છે. ખારી કટમાં પાણી છોડ્યું હોવાના કારણે થઈને જે બાંધકામ કરવા માટે નીચે બોક્સમાં ટેકા મુકવામાં આવ્યા છે તેના સહિતનો કેટલોક સામાન અને માટી વગેરે અંદર કેનાલમાં હજી પણ છે જેની વચ્ચેથી પાણી પસાર થઈ રહ્યું છે. ખેડૂતોની માંગ હોવા ની વાત કરીને સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. ‘નીચે બોક્સની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવી પડી’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે ખારી કટ કેનાલની કામગીરી ચાલી રહી છે તેમાં નીચે બોક્સની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવી પડી છે. રબારી કોલોની પાસે ભાવના હાયર સેકન્ડરી સ્કુલથી આગળના તરફ 50 મીટરનો રોડ છે ત્યાં કામગીરી બાકી છે હવે કેનાલની ઉપર અને આજુબાજુના ભાગમાં જે કામગીરી બાકી છે તે હાલ પૂરતી ચાલુ રાખવામાં આવી છે. 'પાણી છોડવાની રજૂઆતના પગલે પાણી છોડવામાં આવ્યું'-MLAદસ્ક્રોઇ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખારી કટ કેનાલનો પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે જેમાં બે વર્ષ ખેડૂતોને પાણી નહીં મળે એવી વાત કરવામાં આવી હતી. જેથી બે વર્ષ સુધી પાણી ખેડૂતોને મળ્યું નથી એના ઉપર વધારે ત્રણેક વર્ષ થઈ ગયું છતાં પણ હજી કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે ખેડૂતોને પાણી મળે એવી રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે કામગીરી ભલે બંધ કરવી પડે પરંતુ ખેડૂતોને પાણી આપો જેથી પાણી છોડવાની રજૂઆતના પગલે પાણી છોડવામાં આવ્યું છે. ‘કોન્ટ્રાક્ટરોએ સમયસર કામગીરી પૂર્ણ કરી નથી જેથી આવા કોન્ટ્રાક્ટરોને દંડ કરવો જોઈએ’વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખારી કટ કેનાલનો પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો જોઈએ છતાં પણ કોન્ટ્રાક્ટરોએ સમયસર કામગીરી પૂર્ણ કરી નથી જેથી આવા કોન્ટ્રાક્ટરોને દંડ કરવો જોઈએ ક્યાં સુધી ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે જેથી ખેડૂતોને પાણી આપવા માટે કહ્યું હતું. રજૂઆતના પગલે પાણી છોડી દેવામાં આવ્યું છે કામગીરી ભલે બંધ રહે પરંતુ બે મહિના સુધી ખેડૂતોને પાણી આપવા માટે કહેવામાં આવ્યું છે એક એપ્રિલથી પાણી બંધ કરી દેશે તેનો વાંધો નથી પરંતુ બે મહિના સુધી પાણી આપવા માટે કહ્યું છે.
પ્રવાસન માત્ર ફરવા પૂરતું મર્યાદિત નથી, પણ જ્યારે તે જ્ઞાન સાથે જોડાય છે ત્યારે 'સ્માર્ટ પ્રવાસન' બને છે. 25મી જાન્યુઆરી, 'રાષ્ટ્રીય પ્રવાસન દિવસ' નિમિત્તે રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર એક આદર્શ પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અત્યાર સુધીમાં દેશ-વિદેશના 3,45,000 થી વધુ મુલાકાતીઓ આ કેન્દ્રની મુલાકાત લઈ વિજ્ઞાનની અદ્ભુત દુનિયાનો અનુભવ કરી ચૂક્યા છે. ગ્લોબલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનતું સાયન્સ સેન્ટર માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ જાપાન, સાઉથ કોરિયા, અમેરિકા અને જર્મની જેવા દેશોના પર્યટકો પણ રાજકોટના આ સેન્ટરની મુલાકાતે આવી રહ્યા છે. હેરિટેજ સ્થળોની પરંપરાગત સફરની સાથે હવે લોકો વિજ્ઞાન આધારિત પ્રવાસન તરફ વળ્યા છે. 19 ઓક્ટોબર 2022 ના રોજ લોકાર્પિત થયેલું આ સેન્ટર ટૂંકા ગાળામાં જ જ્ઞાનપિપાસુઓ માટે મનગમતું સ્થળ બની ગયું છે. પિરામિડ આકારની 6 ગેલેરીઓમાં વિજ્ઞાનનો જાદુ આ સેન્ટરની મુખ્ય વિશેષતા તેની પિરામિડ આકારની 6 થીમેટિક ગેલેરીઓ છે: ગ્લાસ એન્ડ સિરામિક્સ ગેલેરી: ગુજરાતના ઉદ્યોગની ઓળખ સમાન કાચ-સિરામિકનું પ્રદર્શન. હાઉ સ્ટફ વર્ક્સ ગેલેરી: રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ પાછળનું વિજ્ઞાન. જીવ વિજ્ઞાન ગેલેરી: પ્રકૃતિ અને જીવનના રહસ્યોની સમજ. મશીન એન્જિનિયરિંગ ગેલેરી: યાંત્રિક ગતિ અને ટેક્નોલોજીના કરિશ્મા. નોબેલ પ્રાઈઝ ગેલેરી: વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની પ્રેરણા. રોબોટિક્સ ગેલેરી: ભવિષ્યની ટેક્નોલોજી અને માનવ-મશીનનો સહકાર. હાઈ-ટેક અનુભવો અને સ્માર્ટ લર્નિંગ અહીં મુલાકાતીઓ માટે માત્ર જોવાનું જ નહીં, પણ અનુભવવાનું પણ છે. એડવાન્સ એક્સપિરિયન્સ ઝોન્સમાં ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચુઅલ રિયાલિટી (VR), હોલોગ્રામ, 3D થિયેટર અને ફ્લાઈટ સિમ્યુલેટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. STEM લર્નિંગ અને વર્કશોપ્સ દ્વારા બાળકો 'રમતાં-રમતાં શીખવાની' અનોખી તક મેળવે છે. નિષ્ણાતો અને મુલાકાતીઓના પ્રતિભાવો પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. સુમિત વ્યાસ જણાવે છે કે આ કેન્દ્ર સૌરાષ્ટ્રની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જે સ્થાનિક ઓળખ સાથે વૈશ્વિક સમજ આપે છે. મુલાકાતી દિવ્યેશ મકવાણા અને શિક્ષિકા હાર્દિકાબેન દવેના મતે, જે બાબતો વર્ગખંડમાં સમજવી મુશ્કેલ હોય છે, તે અહીં પ્રત્યક્ષ મોડેલ્સ દ્વારા ખૂબ સરળતાથી સમજી શકાય છે. મુલાકાતીઓ માટે ઉપયોગી માહિતી 10 એકરમાં ફેલાયેલું આ સેન્ટર ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા સંચાલિત છે. સમય: મંગળવારથી રવિવાર, સવારે 10:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી. ટિકિટ બારી: સાંજે 6:00 વાગ્યે બંધ થાય છે. નોંધ: દર સોમવારે સેન્ટર બંધ રહે છે.
પાલનપુરમાં એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 339 બોટલ/બિયર જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત ₹70,010 આંકવામાં આવી છે. આ કાર્યવાહી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત, એલસીબી સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓ ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈને જઈ રહી છે. આ બાતમીના આધારે, પોલીસે ડોક્ટર હાઉસથી કોઝી તરફ આવતા રોડ પરથી ચાર મહિલાઓને ઝડપી પાડી હતી. આ મહિલાઓ તેમના થેલાઓમાં પરમિટ વગરનો દારૂનો જથ્થો લઈ જતી હતી. ઝડપાયેલી મહિલાઓની ઓળખ સુનીતાબેન, રંજનબેન, રજનીબેન અને ધર્મિષ્ઠાબેન તરીકે થઈ છે. આ તમામ અમદાવાદના રાયપુર દરવાજા બહાર, કંટોડીયા વાસ, કાગડાપીઠ વિસ્તારની રહેવાસી છે. પોલીસે દારૂની 339 બોટલ/બિયર અને 8 થેલા સહિત કુલ ₹70,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મહિલાઓ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા બેટરીના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ થતા ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. કાર અને બાઈક બેટરીના ગોડાઉનમાં આગવડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા કાર અને બાઈક બેટરીના ગોડાઉનમાં આજે બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી હતી. ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગને બુઝાવવા માટે પ્રથમ ટીપી 13 ફાયર સ્ટેશન અને બાદ વડીવાડી, વાસણા, GIDC, પાણીગેટ, ERC ફાયર સ્ટેશનની ટીમ સહિત ત્રણ પાણીની ટાંકી દ્વારા આ બેટરીના ગોડાઉનમાં આગ કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં જાણવા મળતી માહિતી અનુસાર આ ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બેટરીનું મટીરિયલ હોવાથી ફાયર વિભાગે ફોર્મનો મારો પણ ચલાવ્યો છે. હાલમાં આગ મહદ્અંશે કાબુમા આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આ આગ ને સંપૂર્ણ કાબુમા લેવા માટે ફાયરનાં જવાનો સત્તત પાણીનો મારો ચલાવી રહ્યા છે. આ આગના બનાવને લઈ તાત્કાલિક ગોરવા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું અમને બેટરીના ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અહીંયા કાર અને બાઈકની બેટરીના સ્ટોરેજનું ગોડાઉન છે. હાલમાં ફાયર ફાયરિંગ ચાલુ છે, બેટરી હોવાથી આગ ફરી લાગે છે જેથી અહીંયા અમે ફોમનો મારો ચલાવી રહ્યા છીએ. આ આગ પહેલા કંટ્રોલ કરવી અમારી પ્રાથમિકતા છે. હાલ સુધિમા કોઈ જાનહાનિ થઈ નથી.
ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં વલસાડ જિલ્લાના બેડમિન્ટન ખેલાડીઓ દેવાંશ જયનેશ શાહ અને દેવ રાજપૂત રનર્સ-અપ બન્યા છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં તેમણે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ શહેરોના શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં ફક્ત તે જ ખેલાડીઓને પ્રવેશ મળ્યો હતો જેઓ પોતપોતાના જિલ્લામાં વિજેતા બન્યા હતા. વલસાડની આ જોડીએ ટુર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ સુધીની સફરમાં તેમણે અનેક મોટા શહેરોની ટીમોને પરાજય આપ્યો હતો. અંતિમ મેચમાં પણ બંને ખેલાડીઓએ અંત સુધી સખત સંઘર્ષ કર્યો હતો. દેવાંશ અને દેવની આ સફળતા બદલ વલસાડના રમત જગતમાં ખુશીનો માહોલ છે. રમતપ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા બંને યુવા ખેલાડીઓને તેમની મહેનત અને સિદ્ધિ માટે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત ગાંધીનગરના સચિવાલય જીમખાના ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં વલસાડ જિલ્લાએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ 40+ કેટેગરીમાં રાજ્યભરમાંથી કુલ 34 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાંથી પ્રથમ વખત ભાગ લેનાર ડૉ. કિશોર કે. મજુમદારએ શાનદાર રમત પ્રદર્શિત કરીને સેમી ફાઈનલ સુધીનો સફર પૂર્ણ કર્યો હતો. તેમજ દર્નિશ ટંડેલ (શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, વલસાડ) એ પણ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. વલસાડ જિલ્લાના ખેલાડીઓની આ સિદ્ધિથી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને લોન ટેનિસ પ્રત્યે રસ ધરાવતા યુવા ખેલાડીઓ માટે આ પ્રદર્શન પ્રેરણારૂપ બનશે.
સુરેન્દ્રનગર અને ચોટીલા પંથકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ની કામગીરી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે. આ ચોંકાવનારા દાવાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. શાહબુદીન રાઠોડના નામે રમત રમાયાનો દાવોકોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક પ્રતિષ્ઠિત નાગરિકનું નામ યાદીમાંથી દૂર કરવા માટે કોણે અરજી કરી અને તંત્રએ પ્રાથમિક તપાસ કર્યા વગર આ પ્રક્રિયાને કેવી રીતે આગળ વધારી? આ અંગે શાહબુદીન રાઠોડે જણાવ્યું હતું કે, કોઈએ તેમના નામે મતદાર યાદીમાંથી નામ રદ કરવા ફોર્મ નંબર 7 ભર્યું છે. આ બાબતે તેમણે મામલતદાર સાથે વાતચીત કરી છે. મામલતદારે તેમને ખાતરી આપી છે કે, કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ નંબર 7 ભરે તો પણ પૂરતી તપાસ વગર નામ કમી થઈ શકે નહીં. કોંગ્રેસના મુખ્ય આક્ષેપોપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. SIR કામગીરીમાં ગેરરીતિ: SIR હેઠળ જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને અનિયમિતતા હોવાનો આક્ષેપ. યાદીમાં છેડછાડનું ષડયંત્ર: મતદાર યાદી સુધારણાના બહાને વિરોધ પક્ષના ટેકેદારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ રદ કરવાનું આયોજનબદ્ધ ષડયંત્ર. વહીવટી તંત્રની ભૂમિકા: સરકારી અધિકારીઓ સત્તાધારી પક્ષના દબાણમાં રહીને પક્ષપાતી કામગીરી કરી રહ્યા હોવાનો સુર. નાગરિકોને જાગૃત રહેવા અપીલઋત્વિક મકવાણાએ જનતાને અપીલ કરી છે કે દરેક નાગરિકે મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરી લેવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો પદ્મશ્રી સન્માન ધરાવતી વ્યક્તિનું નામ પણ જોખમમાં હોય, તો સામાન્ય નાગરિકના મતાધિકાર પર ગમે ત્યારે તરાપ મારી શકાય છે. આ ગંભીર આક્ષેપો બાદ હવે વહીવટી તંત્ર આ મામલે શું ખુલાસો કરે છે અને ફોર્મ નંબર 7 ભરનાર સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.
ગોધરાની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 'પરાક્રમ દિવસ' નિમિત્તે જિલ્લા સ્તરીય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય વિષય 'ઓપરેશન સિંદૂર' હતો. વિદ્યાલયના પ્રિન્સિપાલ રૂપ કિશોર ચૌધરીના નેતૃત્વ હેઠળ અને 'પરીક્ષા પે ચર્ચા'ના નવમા સંસ્કરણ અંતર્ગત આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દારુણિયા પંચમહાલ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય આશીફભાઈ મન્સૂરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય, દિલ્હી પબ્લિક સ્કૂલ તેમજ અન્ય સરકારી શાળાઓના 10-10 વિદ્યાર્થીઓની ટીમોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના સમાપ્તિ બાદ વિજેતા સ્પર્ધકોને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્વિઝ સ્પર્ધા ઉપરાંત, વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતોનું ગાયન, વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ અને યોગાભ્યાસનું પણ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રિન્સિપાલ રૂપ કિશોર ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન, દેશભક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય છે. તેમણે ઉમેર્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના આદર્શો યુવા પેઢી માટે હંમેશા પ્રેરણાસ્રોત બની રહેશે.
ગઢડા ઘેલો નદી કોઝવે રોડ 20 દિવસમાં બિસ્માર:નગરપાલિકાના કામ સામે સવાલ, નવા રોડની માગ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદી પરના કોઝવે પર 20 દિવસ પહેલાં બનેલો સીસી રોડ બિસ્માર બન્યો છે. રોડ પરથી સિમેન્ટ ઉખડવા લાગી છે અને અંદરની ધૂળ દેખાઈ રહી છે. આ ઘટનાથી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કોઝવે લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ગઢડા નગરપાલિકા દ્વારા અંદાજે દસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે 20 દિવસ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, માત્ર 20 દિવસમાં જ રોડ પરથી સિમેન્ટ અને ધૂળ ઉખડવા લાગી છે. આના પરથી રોડ બનાવવામાં સિમેન્ટનું પ્રમાણ ઓછું હોવાનું અને ગુણવત્તા નબળી હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ ચાવડાએ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામ કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકો, જેમાં નિર્મળભાઈ રાઠોડનો પણ સમાવેશ થાય છે, તેમણે પણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરી છે. આ અંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચરે જણાવ્યું કે, તેમને મીડિયા દ્વારા આ બાબતની જાણ થઈ છે અને નગરપાલિકાના એન્જિનિયર દ્વારા તપાસ કરાવવામાં આવશે. જો રોડનું સમારકામ જરૂરી જણાશે તો તે કરાવવામાં આવશે.
વડોદરાની વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર એમ. ભણગેને ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રે તેમના અસાધારણ પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ‘ISAS શાસ્ત્ર તેજસ (શૈક્ષણિક) પુરસ્કાર-2025’ થી નવાજવામાં આવ્યા છે. ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ્સ (ISAS) દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકના બેલગાવી ખાતે 22 થી 24 જાન્યુઆરી 2026 દરમિયાન ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ (IASC-2026)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કોંગ્રેસના ઉદ્ઘાટન સમારંભમાં પ્રોફેસર ભણગેને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કેટાલિસિસ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી અને પર્યાવરણ વિજ્ઞાન જેવા જટિલ વિષયોમાં તેમના દીર્ઘકાલીન સંશોધનોને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવ્યા છે. ISAS એ પ્રોફેસર ભણગેને ભારતની 'મહત્વપૂર્ણ જ્ઞાન સંપત્તિ' તરીકે વર્ણવી તેમની પ્રશંસા કરી છે. પ્રોફેસર ભણગેના નેતૃત્વ હેઠળ એમ.એસ. યુનિવર્સિટી અત્યારે સંશોધન આધારિત જાહેર યુનિવર્સિટી તરીકે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં સસ્ટેનેબલ સાયન્સ અને આંતરવિષયક નવીનતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશ જ્યારે વર્ષ 2047 માં આઝાદીના શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે પ્રોફેસર ભણગે જેવા વૈજ્ઞાનિકોનું કાર્ય ભારતની વૈજ્ઞાનિક પરિસ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યું છે. માત્ર શૈક્ષણિક પુરસ્કાર જ નહીં, પરંતુ પ્રોફેસર ભણગેને તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના CGPDTM કાર્યાલય દ્વારા ‘વૈજ્ઞાનિક સલાહકાર’ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. પેટન્ટ અધિનિયમ-1970 હેઠળ તેમને જટિલ પેટન્ટ મામલાઓમાં તકનીકી સલાહ આપવાની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ નિમણૂક તેમની વૈજ્ઞાનિક સત્તા અને વિશ્વસનીયતા પર મહોર મારે છે. આ પુરસ્કાર અને નવી જવાબદારીઓથી એમ.એસ. યુનિવર્સિટીની રાષ્ટ્રીય શૈક્ષણિક નકશા પર પ્રતિષ્ઠા વધી છે.
જૂનાગઢમાં 'તરતું સોનું' ઝડપાયું:SOGએ 1 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે પાલીતાણાના વૃદ્ધની ધરપકડ કરી
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે બાતમીના આધારે વિજાપુર પાટિયા પાસે વોચ ગોઠવીને પાલીતાણાના રહેવાસી પંકજ નાથાલાલ કુબાવત (ઉં.વ. 72)ને વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)ના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 1.025 કિલોગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. બાતમીના આધારે પાદરીયા રોડ પર કાર્યવાહીજૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની થી એસ.ઓ.જી. પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ જિલ્લામાં વોચમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મેણસી અખેડ, અનિરુદ્ધ વાંક અને કોન્સ્ટેબલ રોહિત ધાધલ તેમજ વિશાલ ઓડેદરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક શખસ વ્હેલ માછલીની ઉલટી જેવા અત્યંત મૂલ્યવાન પદાર્થ સાથે વિજાપુરના પાટિયા પાસે ગ્રાહકની શોધમાં ઉભો છે. આ બાતમીના આધારે ટીમે વિજાપુર બસ સ્ટેન્ડ પાસે તપાસ કરતા શંકાસ્પદ પંકજ કુબાવત મળી આવ્યો હતો. પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યો શંકાસ્પદ પદાર્થપોલીસે જ્યારે પંકજ કુબાવતની તલાશી લીધી ત્યારે તેની પાસે રહેલી સફેદ કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી કાળા કલરના ઝભલામાં વીંટાળેલા અનિયમિત આકારના સફેદ અને પીળા કલરના ટુકડાઓ તેમજ ભૂક્કો મળી આવ્યો હતો. આ પદાર્થ વ્હેલ માછલીની ઉલટી એટલે કે 'એમ્બરગ્રીસ' હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેનું વજન કરાવતા તે 1.025 કિલોગ્રામ હોવાનું માલુમ પડ્યું હતું. કરોડોનો મુદ્દામાલ સીઝ કરાયોપોલીસે આરોપી પાસેથી 1,02,50,000 રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ અને 10,000 રૂપિયાની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ 1,02,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ કિંમતી પદાર્થ વેચવા માટે ગ્રાહકની શોધમાં જૂનાગઢ આવ્યો હતો. વ્હેલ માછલીના એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર અને દવા બનાવવામાં થતો હોવાથી તે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમતે વેચાય છે, જેના કારણે તેના સ્મગલિંગનું પ્રમાણ વધ્યું છે. ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી તપાસપકડાયેલ આરોપી પંકજ કુબાવત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ પદાર્થ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આવતો હોવાથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી ગુજરાત ફોરેસ્ટ વિભાગ (ડુંગર દક્ષિણ રેન્જ, જૂનાગઢ) ને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી. પીઆઈ આર.કે. પરમાર સાથે એ.એસ.આઈ. મહેન્દ્ર કુવાડીયા, કરશન મોઢા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ મેણસી અખેડ, અનિરુદ્ધ વાંક, પ્રતાપ શેખવા, બાલુ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિત ધાધલ, વિશાલ ઓડેદરા, રવિરાજ વાળા, જયેશ બકોત્રા અને પરબત દિવરાણીયા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો: સાણંદના ગીબપુરામાં 2.97 કિલો એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહક શોધતા હતા ને આરોપી પકડાયા, એક ફરાર આ પણ વાંચો: કચરો વીણનારને મળી 2.90 કરોડની વ્હેલ માછલીની ઊલટી:સુરતથી અમદાવાદ 2904 ગ્રામ એમ્બરગ્રીસ વેચવા આવેલા 2 સહિત 4 શખસની ધરપકડ, કઈ કઈ વસ્તુમાં છે ઉપયોગી? આ પણ વાંચો: ઓહો... માછલીની ઊલટીની કિંમત 12 કરોડ!:મહુવામાંથી વ્હેલ માછલીની ઊલટીનો 12 કિલો પદાર્થ જપ્ત; બે આરોપીની ધરપકડ, જાણો માછલીની ઊલટીની વિશેષતા
મોરબીમાં બે ST બસ વચ્ચે અકસ્માત:રિક્ષાચાલકે બ્રેક મારતા 10થી વધુ મુસાફરોને ઈજા
મોરબી નજીક મહેન્દ્રનગર ગામથી ઘુટુ તરફ જતા રસ્તા પર બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બપોરના 12 વાગ્યાના અરસામાં ઉમા રેસિડેન્સી સામે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, એક રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી મોરબી-જિકિયારી રૂટની લોકલ બસના ડ્રાઈવરે પણ બસ રોકવા માટે બ્રેક લગાવી હતી. આ લોકલ બસની પાછળ મોરબી-ધંધુકા રૂટની એક્સપ્રેસ એસટી બસ (નંબર GJ 18 ZT 0856) આવી રહી હતી. લોકલ બસના અચાનક બ્રેક મારવાને કારણે એક્સપ્રેસ બસ પાછળથી લોકલ બસ સાથે અથડાઈ હતી, જેના પરિણામે બંને બસને નુકસાન થયું હતું. અકસ્માતમાં બંને બસમાં સવાર આશરે 8થી 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેનની ગાડીએ પાલનપુરના કુશકલ નજીક એક યુવકને ટક્કર મારી હોવાનો ઘટના સામે આવ્યો છે. પીડિત યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા અને તેમના માણસા દ્રારા ઘટનાસ્થળે લેવાયેલા ફોટા અને વીડિયો ડિલીટ કરાવવામાં આવ્યા હતા. આ ઘટના ગઈકાલે પાલનપુર-ડીસા હાઈવે પર કુશકલ પાટિયા નજીક બની હતી. ટક્કર બાદ યુવક ત્રણ કલાક બેભાન રહ્યોપરિવારજનોના જણાવ્યા અનુસાર, ટક્કર વાગ્યા બાદ યુવક બેથી ત્રણ કલાક બેભાન થઈ ગયો હતો. અકસ્માત બાદ સાંસદના માણસો ગાડીમાંથી ઉતર્યા હતા અને જ્યારે લોકોએ ફોટા-વીડિયો લીધા, ત્યારે સાંસદ ગેનીબેને તે ડિલીટ કરાવ્યા હતા અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. પરિવારે સાંસદ ગેનીબેન પર ગંભીર આક્ષેપો કર્યાપરિવારનો આક્ષેપ છે કે, અકસ્માત બાદ સાંસદ સ્થળ પરથી નીકળી ગયા હતા અને બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ આ અંગે સાંસદ ગેનીબેન પર ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત પરિવાર દ્વારા યુવકને યોગ્ય અને વ્યવસ્થિત સારવાર મળે તે બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગેનીબેનના માણસોએ ફોટો-વીડિયો ડિલીટ કરાવ્યાં: પરિવારજોકે આ અંગે ઈજાગ્રસ્ત યુવકના ભાઈ નરસાભાઈ માણસાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ ઘટના ત્રણથી સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ બની હતી. જે ગાડીએ મારા ભાઈને ટક્કર મારી તેમા ગેનીબેન પણ બેઠેલા હતા. અકસ્માત બાદ તેઓ ગાડીમાંથી નીચે પણ ઉતર્યા. જોકે, મારા ભાઈને હોસ્પિટલ એમના દ્વારા નથી ખસેડવામાં આવ્યો. તેઓ બીજા દિવસે હોસ્પિટલ આવ્યા અને મળીને જતા રહ્યા હતા. એમના તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આ બાબતે આગળ કાર્યવાહી કરીશું. ગેનીબેનની ગાડી સિંગલ રોડ પર હતી. અકસ્માત બાદ ગેનીબેનના માણસોએ ઘટના સ્થળના ફોટો-વીડિયો પણ ડિલીટ કરી નાખ્યા હતા. અત્યારે મારા ભાઈની સ્થિતિ ખરાબ છે. પણ યોગ્ય સારવાર મળશે તો તે સ્વસ્થ થઈ જશે.
રાજકોટમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા પત્ની પીડિત યુવકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિસામણે બેસેલી પત્ની છૂટાછેડા માટે 1 કરોડ રૂપિયા અને પ્રોપર્ટીમાં ત્રીજો ભાગ માગતી હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે. પરિણીતા સાસુ-સસરા સહિતના પરિવારજનોને પરેશાન કરતા હોવાની સાસુ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે પરિણીતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરતની સભામાં પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજમાં છૂટાછેડા બાદ દીકરીના પિતા પૈસા ગણવા લાગે છે. જે પ્રથા શરમજનક છે. આ વચ્ચે રાજકોટમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પતિ દ્વારા પત્ની પર ગંભીર આક્ષેપશહેરના કોઠારીયા રોડ ઉપર કેદારનાથ સોસાયટીમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા સુનિલ ઘવાએ જણાવ્યુ હતુ કે, મારા લગ્ન વર્ષ 2012માં લોધિકાના રાવકી ગામની કિરણ સાથે થયા હતા. તેનું અફેર અમે પકડી લીધા બાદ તેઓ વારંવાર હેરાન કરે છે અને મારા માતા-પિતા સાથે ઝઘડો પણ કરે છે. છુટ્ટું કરવા માટે રૂપિયા એક કરોડની માંગણી અને પ્રોપર્ટીમાંથી ભાગ માગે છે. અમારા ઘર પર પથ્થરમારો કરવામાં આવે છે અને મારો સાળો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી પત્ની અને મારા બંનેના બીજી વખતના લગ્ન હતા જોકે છેલ્લા બે વર્ષથી તે રિસામણે બેઠી છે. મારી પત્નીએ પ્રથમ લગ્ન કર્યા અને છૂટું કર્યું તે બદલ રૂ.15 લાખ માંગ્યા હોવાની મને જાણ થઈ છે. જે બાદ અમારી પાસે રૂ.1 કરોડ માંગે છે. મારે 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જેમણે જણાવ્યું કે બંને સંતાનો હાલ મારી પાસે છે. પત્ની છુટાછેડા આપતી નથી પરંતુ હવે પોલીસ પાસેથી ન્યાય મળે તેવી આશા છે. હવે કોર્ટ કેસ પણ કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે ત્યારે મારું સમાજને એટલું જ કહેવું છે કે જેનો વાંક હોય તેને એક પણ રૂપિયા આપવાનો ન હોય. પુત્રવધુ સામે સાસુએ ફરિયાદ નોંધાવીનોંધનીય છે કે, આ બનાવ મામલે કેદારનાથ સોસાયટીમાં રહેતા શારદાબેન મનજીભાઈ ઘવા(ઉ.વ.65) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે વર્ષથી લોધિકાના રાવકી ગામે રિસામણે બેઠેલી પુત્રવધૂનું નામ આપ્યું હતું. ફરિયાદમાં શારદાબેને જણાવ્યું કે, તેના મોટા દીકરા સુનિલની પત્નીનું નામ કિરણ છે. તે બે વર્ષ પૂર્વે તેના પિયર રાવકી તેણીના દીકરાને લઈને જતી રહી છે. જ્યારે સુનિલની મોટી દીકરી દાદા-દાદી, પિતા સાથે રહે છે. વધુમાં ફરિયાદી જણાવે છે કે, આ કિરણની ફરિયાદીના પુત્ર - સુનિલ સાથે અવારનવાર માથાકૂટ થતી હોય જેથી દોઢ વર્ષ પૂર્વે પુત્રનો સાળો જગદીશ તેની બહેન કિરણને તેડી ગયો હતો. ત્યારબાદ કિરણ અવારનવાર તેમના ઘરે આવતી અને માથાકૂટ કરતી, ઝઘડો કરી ગાળો ભાંડતી અને વડીલો દ્વારા સમાધાનની વાત થતી ત્યારે પણ પૈસાની જ માગણી કરતી હતી. અંતે કોર્ટ દ્વારા ધોરણસર છૂટું કરવાનું નક્કી કર્યું હોવા છતાંય કિરણને એ રીતે છૂટું કરવું નહોતું. તે અવારનવાર ઘરે આવી પથ્થરમારો કરતી અને કહેતી કે, જો છૂટાછેડા કરવા હોય તો તારે ને તારા દીકરાને એક કરોડ આપવા પડશે અથવા તો મિલકતમાં ત્રીજો ભાગ આપવો પડશે. ત્યારબાદ એક વખત આ કિરણ ઘરે ધસી આવી અને ઝઘડો કરવા લાગી કે, મને અત્યારે જ 50 હજાર આપો નહીંતર તમારા દીકરાને હું મરાવી નાખીશ તેમ કહી તેણી માતા-પુત્ર પાસેથી 50 હજાર લઇ ગઈ હતી. આ ઉપરાંત કહેતી હતી કે, જો છૂટાછેડાના પૈસા નહિ આપે તો શાંતિથી જીવવા નહિ દઉં. આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા કેનાલમાં ડૂબેલી પરિણીતાનો મૃતદેહ મળ્યો:6 દિવસની શોધખોળ બાદ બાલાસિનોર નજીકથી લાશ મળી
ગોધરા તાલુકાના રાણિયાની મુવાડી પાસે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી પરિણીતાનો મૃતદેહ 6 દિવસની સઘન શોધખોળ બાદ મળી આવ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ટીમલી ગામ નજીક નર્મદા કેનાલના ગેટ નંબર 1 પાસેથી આ મૃતદેહ મળી આવ્યો હતો. કંચનબેન રઘુનાથસિંહ મહિડા (નટવરસિંહ રાયસિંહ ચૌહાણની દીકરી) ગત 18 જાન્યુઆરીના રોજ નર્મદા મુખ્ય કેનાલ નજીક કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોયા બાદ તેઓ હાથ-પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કંચનબેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સમગ્ર મામલે કાંકણપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી કેનાલમાં ડૂબેલા મહિલાની શોધખોળ શરૂ કરી હતી.
ગોધરા તાલુકાના સામલી બેટિયા ગામમાં એક ૨૬ વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને ગંભીર હાલતમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સામલી બેટિયા ગામમાં રહેતા 26 વર્ષીય અલ્પેશભાઈ પરમારે પોતાના ખેતરે ખેતીકામમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેમની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ અલ્પેશભાઈની સઘન સારવાર શરૂ કરી છે. યુવકે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ સાધના ઘોડાસરાની દીકરી શ્રેયા ઘોડાસરાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. રાજકોટ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી શ્રેયાએ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘર બનાવવામાં આર્થિક મદદ કરીને આ ખાસ દિવસની ઉજવણી કરી. આ સેવાકીય કાર્ય અંતર્ગત, મોરબી નજીક આવેલા જીકિયારી ગામ પાસે રહેતા આર્થિક રીતે પછાત રંજનબેન મકવાણાને રહેવા માટે આશ્રય નહોતો. શ્રેયા અને તેમના માતા સાધનાબેન ઘોડાસરાએ રંજનબેનના ઘરની છત બનાવવા માટે આર્થિક યોગદાન આપ્યું. યુવાનો સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી મોજમજા અને પાર્ટીઓમાં કરતા હોય છે, ત્યારે શ્રેયા ઘોડાસરાએ સેવાકીય કાર્ય દ્વારા જન્મદિવસ ઉજવી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી, જે 2017 થી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહી છે, તેના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા અને સમગ્ર ટીમે આ વિશેષ કાર્યને બિરદાવ્યું. ક્લબ દ્વારા શ્રેયાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી.
ગુજરાતના શિક્ષણ જગતમાં એક નવો સૂર્યોદય થયો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સુમન હાઈસ્કૂલ'ની 2 દીકરીઓએ એ કરી બતાવ્યું છે જે મોટાભાગના લોકો માટે માત્ર એક સપનું હોય છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં સરકારી સ્કૂલમાં ભણતી 2 વિદ્યાર્થિનીઓ તેમની પ્રતિભાના જોરે આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધા માટે દુબઈ (UAE) જઈ રહી છે. આ માત્ર વિદેશ પ્રવાસ નથી, પણ સરકારી શિક્ષણની બદલાતી તસવીરની સાબિતી છે. આ દીકરીઓ માત્ર ફરવા નથી જઈ રહી, પણ દુનિયાને નવી દિશા આપવા જઈ રહી છે. તેમણે 'Satellite-Link Renewable Forecast and Smart Poultry Farming System' પર એક અદ્ભૂત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2026 દરમિયાન શારજાહની 'Manthena American School'માં આ વિદ્યાર્થિનીઓ રોબોટિક્સના માધ્યમથી ખેતીને કેવી રીતે આધુનિક બનાવી શકાય તેનું લાઈવ પ્રદર્શન કરશે. આ પ્રોજેક્ટ ભારતની કૃષિ ક્રાંતિને આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવશે. રોબોટિક્સ કોમ્પિટિશન માટે વિદેશની ટિકિટ કન્ફર્મસુમન હાઈસ્કૂલ નંબર 14ની સ્નેહા સિંઘ અને તન્નુ સહાનીએ પોતાની બુદ્ધિશક્તિથી સાબિત કરી દીધું કે પ્રતિભા સુવિધાઓની મોહતાજ નથી હોતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 8 સુમન સ્કૂલના 43 વિદ્યાર્થીઓ સામે લડીને આ બંને વિદ્યાર્થિનીઓએ WSRO-2026 ઇન્ટરનેશનલ રોબોટિક્સ કોમ્પિટિશન માટે વિદેશની ટિકિટ કન્ફર્મ કરાવી છે. દીકરીઓનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અન્ય બાળકો માટે પ્રેરણાસામાન્ય પરિવારમાં રહેતી આ દીકરીઓ માટે પ્લેનમાં બેસવું એ એક કલ્પના હતી, જે હવે હકીકત બનવા જઈ રહી છે. ધોરણ 10માં અભ્યાસ કરતી તન્નુ અને સ્નેહા સાથે તેમના આચાર્ય પણ દુબઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ આખો ખર્ચ સરકારી તિજોરી પર બોજ બનવાને બદલે, સ્કૂલમાં AI લેબ ચલાવતી ખાનગી એજન્સી 'Shreeji Technology Pvt. Ltd.' ઉઠાવી રહી છે. આ દીકરીઓનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અન્ય હજારો બાળકો માટે પ્રેરણાનું ઝરણું બનશે. 80 જેટલા વિદ્યાર્થીઓ સામે ભારતનું પ્રતિનિધિત્વ કરશેધોરણ 10માં અભ્યાસ કરતી બે હોનહાર વિદ્યાર્થિનીઓ તન્નુ સહાની અને સ્નેહા સિંઘ, જેમના માતા-પિતા પણ ઓછું ભણેલા છે, તેમણે માત્ર 2 સપ્તાહની ટૂંકી મહેનતમાં એક અદ્ભૂત રોબોટિક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ગુજરાતની આ પ્રથમ સરકારી સ્કૂલ છે જેની દીકરીઓ હવે દુબઈમાં યોજાનારી ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં અંદાજે 80 જેટલા વિદ્યાર્થીઓ સામે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' પ્રોજેક્ટ શું છે?આ દીકરીઓએ તૈયાર કરેલા 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' પ્રોજેક્ટમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં Ultra-Sonic સેન્સર દ્વારા ઇંડા ભરાઈ જતાં માલિકને મોબાઈલ એલર્ટ મળે છે, જ્યારે LDR સેન્સર જરૂરિયાત મુજબ જ લાઈટ ચાલુ રાખી ઉર્જા બચાવે છે. ફાર્મમાં એમોનિયા ગેસ વધતા જ Gas Sensor આપમેળે પંખા શરૂ કરી દે છે અને PIR System આસપાસના જોખમી હલનચલન સામે ચેતવણી આપે છે. વધુમાં, સોલર એનર્જી મેળવવા માટે આ ફાર્મ આપમેળે મૂવમેન્ટ કરી શકે છે અને ઘાસ ઓછું હોય તો વ્હીલ દ્વારા અન્ય જગ્યાએ ખસી જવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં જણાવ્યું હતું કે, આમાં અમારા શિક્ષકો અને આચાર્ય મેમે પણ અમને ઘણો સપોર્ટ કર્યો છે, જેના કારણે જ અમે આ પ્રોજેક્ટ બનાવી શક્યા છીએ. અમારો આ પ્રોજેક્ટ 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' વિશે છે. વિદ્યાર્થિનીઓ વિદેશ જાય છે એ ખૂબ ગર્વની વાતઆચાર્ય પ્રારંભિ શરદભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, સુમન હાઈ સ્કૂલ નંબર 14ની આચાર્ય છું. છોકરીઓ રિજન લેવલથી અમદાવાદમાં સિલેક્ટ થઈ છે અને હવે ઇન્ટરનેશનલ લેવલ પર UAE જઈ રહ્યા છે. મારા 22-23 વર્ષના અનુભવથી મેં એવા બાળકો જોયા છે કે, આ એરિયાના છોકરાઓ પર માતા-પિતા બિલકુલ ધ્યાન નથી આપતા કે એ લોકો શું ભણે છે, શું નહિ. અમને અહીંયા AI લેબ માટે પ્રોવાઈડ કરાવવા માટે કમિશનર મેડમ પણ ખુબ જ પ્રશંસાને પાત્ર. આજે છોકરીઓ પોતાની દમ પર આગળ વધી રહી છે તો એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. 'પોલ્ટ્રી ફાર્મમાં અલગ-અલગ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો'સ્નેહા રાજકુમાર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, અને અમે અમારા પ્રોજેક્ટ સાથે દુબઈ જઈ રહ્યા છીએ. અમે અગાઉ અમદાવાદ ગયા હતા અને ત્યાં અમારા પ્રોજેક્ટની પસંદગી થઈ હતી. અમે આંતરરાષ્ટ્રીય સ્તર માટે ક્વોલિફાય થયા છીએ. અમારો પ્રોજેક્ટ 'સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ' છે. આ પોલ્ટ્રી ફાર્મમાં અલગ-અલગ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે તેના માટે કોડિંગ કર્યું છે. તે સેટેલાઇટ સાથે જોડાયેલું છે અને તે API ના રૂપમાં ડેટા સ્ટોર કરે છે. જ્યારે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે તે ઉર્જા વાપરે છે અને સોલર પેનલ્સ તે ઉર્જા પૂરી પાડે છે.આ પ્રોજેક્ટ બનાવવામાં લગભગ બે અઠવાડિયા લાગ્યા હતા. મારા પિતાનું નામ રાજકુમાર સિંઘ છે, તેઓ સ્થાનિક ડ્રાઈવર છે. તેઓ મશીનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. મારી માતા ગૃહિણી છે. 'અમે બાળકોને પ્રેક્ટિકલથી શરૂઆત કરાવી છે'AIની શિક્ષિકા કિંજલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને જ્યારે પહેલી વખત કહીએ છીએ ત્યારે તેઓ પૂછે છે, ‘ટીચર, આ ક્યારે બનાવીશું? ક્યારે...’. અમે પાયાથી શરૂઆત કરી. તેઓ સીધું જ એમ કહે છે કે ‘અમને પ્રેક્ટિકલ કરાવો.’ તેથી મેં તેઓને પ્રેક્ટિકલથી શરૂઆત કરાવી છે. અમુક છોકરાઓ તો એટલા સક્રિય છે કે તેઓ ઘરે જઈને પણ એના વિશે શોધીને આવે છે અને કહે છે, ‘ટીચર, આપણે આ પ્રોજેક્ટ બનાવી શકીએ. આપણે રોબોટને આવી રીતે સેન્સ કરાવીને આવો રોબોટ બનાવી શકીએ.
વાપી નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત:આત્મહત્યાની આશંકા, પોલીસે તપાસ શરૂ કરી
વાપી નજીક ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ ઘટના બાદ વાપી ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ બનાવ 23 જાન્યુઆરી, 2026 ના રોજ બન્યો હતો. ઉદવાડાથી વાપી વચ્ચે કિલોમીટર નંબર 174ના પોલ નંબર 27 પાસે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યો પુરુષ આવી ગયો હતો. આ ઘટના અંગે વાપી રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા પોલીસને લેખિત જાણ કરવામાં આવી હતી. ટ્રેનની ટક્કરથી યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનો અંદાજ છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. વાપી ટાઉન પોલીસે આ મામલે BNSS કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યાનો કિસ્સો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેસની વધુ તપાસ પી.એસ.આઈ. આર.ડી. પાટીલ કરી રહ્યા છે.પોલીસે મૃતકની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ અને પૂછપરછ શરૂ કરી છે. વાપી ટાઉન પોલીસની ટીમે અજાણ્યા યુવકની લાશનો ફોટો આજુબાજુના ગામના સ્થાનિક આગેવાનોને મોકલી તેની ઓળખ કરવા અને પરિવારજનો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.
બે દિવસ પહેલા ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વર ગામ નજીક આત્મહત્યા કરી હતી. PSI બી.કે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોમાં એક દીકરો અને એક દીકરી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક દિગ્વિજયસિંહ ગોહિલને ન્યાય અપાવવા માટે તેમના બેને ક્ષત્રિય સમાજને આહવાન કર્યું છે. જો જવાબદાર ઘોઘા પોલીસ સ્ટેશનના PSI બી.કે ગોસ્વામી વિરુદ્ધ પગલા ભરવામાં નહીં આવે તો પરિવાર કલેકટર કચેરીએ ધરણાં પર બેસી જશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
અમરેલીમાં કતલખાને લઈ જવાતા 8 પશુ ઝડપાયા:ગૌરક્ષકોની સતર્કતાથી ટ્રક સાથે 2 આરોપી સામે ગુનો નોંધાયો
અમરેલી શહેરમાં ગૌરક્ષકોની સતર્કતાને કારણે કતલખાને લઈ જવાતા 8 ભેંસોને બચાવવામાં સફળતા મળી છે. મોડી રાત્રે ટ્રકમાં ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહેલા પશુઓ સાથે ટ્રકને ઝડપી પાડી, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી પંથકમાં પશુઓને કતલખાને લઈ જવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેની સામે હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો વધુ સક્રિય બન્યા છે. રાત્રીના સમયે ખાનગી રાહે પશુઓની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોએ આ કાર્યવાહી કરી હતી. ગૌરક્ષકોને મળેલી ચોક્કસ માહિતીના આધારે અમરેલી વિસ્તારમાં એક ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં કુલ 8 ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધીને કતલના ઇરાદે લઈ જવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. ગૌરક્ષકોએ તાત્કાલિક અમરેલી સિટી પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી અમરેલી સિટી પોલીસે ટ્રક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ ફિરોજભાઈ કાસમભાઈ પરમાર (રહે. ગુંદરણ, ડ્રાઈવર) અને ઇકબાલભાઈ તરકવાડીયા (રહે. અમરેલી) વિરુદ્ધ પશુ ક્રૂરતા અને કતલ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. બચાવવામાં આવેલા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી મોડી રાતે કરવામાં આવી હતી.
પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાન મામલે વડોદરાના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. કોંગ્રેસના કાર્યકરોએ યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવી વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસે હાજર પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોને વાનમાં ભરી લીધા હતાં. થોડી વાર માટે તો યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ કાર્યક્રમોને આખો રોડ બાનમાં લીધો હતો અને પોલીસને પણ હંફાવી હતી. કાર્યકરોને રોકતા સમયે પોલીસ જવાનોના હાથ પણ શાહીથી લથપથ થયાં હતાં.કેવી રીતે શરૂ થયો વિવાદ, વાંચો શું થયું…18 જાન્યુઆરી રવિવારે પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્નાન કરવા આવેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસે રોકી. તેમણે તેમને સંગમ સુધી ચાલતા જવાનું કહ્યું. શંકરાચાર્યના શિષ્યોએ ના પાડી અને પાલખી લઈને આગળ વધવા લાગ્યા. આના કારણે શિષ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે ઘણા શિષ્યોની અટકાયત કરી અને એક સાધુને પોલીસ સ્ટેશનમાં માર માર્યો. આનાથી શંકરાચાર્ય ગુસ્સે થયા અને તેમણે તેમના શિષ્યોને મુક્ત કરવાનો આગ્રહ રાખ્યો. અધિકારીઓએ તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, તેમને વિનંતી કરી, પરંતુ તેમણે ના પાડી. લગભગ બે કલાક સુધી હંગામો ચાલુ રહ્યો. આ પછી, પોલીસે શંકરાચાર્યના ઘણા વધુ સમર્થકોની અટકાયત કરી. શંકરાચાર્યની પાલખીને સંગમથી એક કિલોમીટર દૂર ખેંચી જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં. આ સમગ્ર ઘટનાથી નારાજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પોતાના કેમ્પમાં ધરણા કર્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર તેમને સન્માન અને પ્રોટોકોલ સાથે નહીં લઈ જાય ત્યાં સુધી તેઓ ગંગામાં સ્નાન નહીં કરે. આ દરમિયાન, પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મંજુરી વિના પાલખીમાં આવ્યા હતા. તે સમયે સંગમમાં મોટી ભીડ હતી. તેમના સમર્થકોએ અવરોધો તોડી નાખ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. શાસને અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં બે નોટિસ જારી કરીસમગ્ર ઘટનાથી નારાજ અવિમુક્તેશ્વરાનંદ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા હતા. પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં બે નોટિસ જારી કરી. પહેલી નોટિસમાં તેમના શંકરાચાર્યની પદવી લખવા પર સવાલો પૂછવામાં આવ્યા હતા, જ્યારે બીજી નોટિસમાં મૌની અમાસને લઈને થયેલા હોબાળા પર સવાલો પૂછવામાં આવ્યા. પ્રશાસને ચેતવણી આપી હતી કે શા માટે તમને હંમેશા માટે માઘ મેળામાંથી પ્રતિબંધિત ન કરવામાં આવે. અવિમુક્તેશ્વરાનંદે બંને નોટિસના જવાબ મોકલી દીધા હતા. (પળેપળની અપડેટ માટે ક્લિક કરો)
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પર આવેલ જોસેફ મોટર ગેરેજમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેરેજમાં રાખેલા વાહનોને ભારે નુકસાન થયું છે. આ અંગે ફાયર વિભાગની પાંચ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મળેવવામાં આવ્યો હતો. 5 ફાયરની ગાડીએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધીઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ આપવામાં આવ્યો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દાંડિયાબજાર ફાયર સ્ટેશનની પાંચ ફાયર ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગથી ગેરેજ માલિકને ભારે નુકસાનઆ આગમાં ગેરેજમાં રહેલ ચાર ફોર-વ્હીલર અને બે બાઇક સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયા છે. ગેરેજ માલિક જોસેફભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારે અચાનક આગ લાગી હતી અને તે કયા કારણોસર લાગી તે સમજાયું નથી. આ ઘટનાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની એક ગાડી તાત્કાલિક આવી હોવા છતાં બાકીની ગાડીઓને આવવામાં વિલંબ થતાં વધુ નુકસાન થયું હોવાના આક્ષેપો પણ કર્યા છે. આગ લાગવા પાછળનું કારણ અકબંધઆ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ સ્પષ્ટ માહિતી મળી શકે છે.
જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગીર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ પર ગત રાત્રિના સમયે પોલીસ અને મહેસૂલ વિભાગે સંયુક્ત રીતે ત્રાટકીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકના ભૂ-માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માળીયા હાટીનાના અમરાપુર ગીર વિસ્તારમાં નદીના પટ અને સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી. જેના આધારે મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડતા ખનીજ ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ખનન કરી રહેલું એક JCB મશીન અને રેતીની ચોરીમાં સંડોવાયેલા બે ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્રએ આ તમામ વાહનોને સીઝ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ખનીજ વિભાગને પણ સ્થળ પર બોલાવીને ચોરી કરવામાં આવેલી ખનીજની માત્રા અને તેની કિંમતનો અંદાજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરોડા બાદ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું હતું. પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર રીતે મોટા પાયે ખનન થયું હોવાનું બહાર આવ્યું છે. વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીને કારણે ખનીજ ચોરી કરતા તત્વો હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગીરના સરહદી વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા. પરંતુ મામલતદાર અને પોલીસની આ 'સર્જિકલ સ્ટ્રાઈક' થી ખનીજ માફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર મોટો ફટકો પડ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે ગત (23 જાન્યુઆરી) મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગામમાં ચાલતા બેફામ દારૂના વેચાણ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે મામલો એટલો બિચક્યો કે પીઆઈ (PI)એ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે. આ ઘર્ષણમાં મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક અને મારપીટ કરવામાં આવી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હવે જ્યાં સુધી દોષિત પોલીસ અધિકારીઓ સામે FIR દાખલ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત એક મહિલાને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? વાલેવડા ગામમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો. આ અંગે ગામના યુવાનો અને મહિલાઓ એકત્ર થઈને પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે, દસાડા પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બુટલેગરોને પકડવાને બદલે રજૂઆત કરનારાઓ પર જ ઉશ્કેરાઈ ગઈ હતી. PI ઉપાધ્યાય પર રિવોલ્વર તાણવાનો ગંભીર આક્ષેપ ઘર્ષણ દરમિયાન પરિસ્થિતિ એટલી વણસી હતી કે, દસાડા PI ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હવામાં અધ્ધર કરી ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું લોકો જણાવી રહ્યા છે. મોડી રાત્રે થયેલી આ ઝપાઝપીમાં પોલીસ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. ‘અમે હપ્તા આપીએ છીએ, પોલીસ અમારું કઈ નહીં કરે’ ગ્રામજનોએ પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. વણોદ બીટ જમાદાર હમીરભાઈ સોલંકીએ એક મહિલાના વાળ ખેંચી તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ મહિલાને માથામાં ઈજા થતાં બહુચરાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાઈ છે. ગામની રમલી નામની બુટલેગર મહિલાએ જાહેરમાં એવું કહ્યું હતું કે, અમે પોલીસને હપ્તા આપીએ છીએ, પોલીસ અમારું કંઈ બગાડી શકશે નહીં. આ નિવેદનથી ગ્રામજનોમાં પોલીસ સામેનો રોષ બમણો થયો છે. અલ્પેશ ઠાકોર અને PK પરમારને જાણ કરાઈ ઘટનાની ગંભીરતા જોતા સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધવલ પટેલ સહિતના આગેવાનો રાત્રે જ વાલેવડા દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્રમક મૂડમાં ધારાસભ્ય પી.કે. પરમાર અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તથા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ફોન પર સમગ્ર હકીકત જણાવી ન્યાયની માગ કરી છે. અધિકારીઓ સામે FIR દાખલ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચિમકી વાલેવડાના રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોનો આક્રોશ જોતા સ્થિતિ હજુ પણ તંગ જણાઈ રહી છે.
'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવા માટે ગારિયાધાર ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 112 જેટલા જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાતો દ્વારા સ્વાસ્થ્યનું માર્ગદર્શન આ શિબિરમાં ઝોન કોઓર્ડિનેટર શ્રી વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોઓર્ડિનેટર વિશાલભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શરીરને નિરોગી રાખવા તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત કરવા વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીની પ્રેરણાથી રાજ્યના ખૂણે-ખૂણે યોગનો પ્રચાર થઈ રહ્યો છે. આ શિબિરનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને મેદસ્વિતા જેવી સમસ્યાઓથી દૂર રાખીને શારીરિક રીતે સક્ષમ બનાવવાનો છે. યોગ કોચ ભદ્રેશભાઈ અને મયંકભાઈની ટીમ દ્વારા શિબિરનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

25 C