SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

જૂનાગઢ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ.:જૂનાગઢના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પોલીસ મેદાને: એ ડિવિઝન પીઆઈ પોલીસ કાફલા સાથે પગપાળા પેટ્રોલિંગ કરી આડેધડ પાર્કિંગ કરનારાઓને ખખડાવ્યા.

​જૂનાગઢ શહેરના હાર્દ સમાન વ્યાપારી વિસ્તારોમાં લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. આ પરિસ્થિતિને થાળે પાડવા અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે આજે શહેર પોલીસ 'એક્શન મોડ'માં જોવા મળી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આકસ્મિક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ​પોલીસના કાફલાએ આઝાદ ચોકથી શરૂ કરીને પોસ્ટ ઓફિસ રોડ, દાણાપીઠ સર્કલ અને ચોક માલીવાડા જેવા વ્યસ્ત વિસ્તારોમાં પગપાળા પરિભ્રમણ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે રસ્તાની વચ્ચે કે નો-પાર્કિંગ ઝોનમાં અડચણરૂપ રીતે ઊભેલા વાહનોના માલિકો સામે લાલ આંખ કરી હતી. અનેક વાહનચાલકોને સ્થળ પર જ કડક સૂચના આપી ચેતવણી આપવામાં આવી હતી કે, જો ફરીથી આ પ્રકારે આડેધડ પાર્કિંગ કરવામાં આવશે તો વાહન ડિટેઈન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ​પીઆઈ સંજય દેસાઈએ આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવી એ અમારી પ્રાથમિકતા છે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોમાં જાગૃતિ આવે અને તેઓ શિસ્તબદ્ધ રીતે વાહન પાર્ક કરે તે હેતુથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે અને ટ્રાફિકના નિયમોનું સતત ઉલ્લંઘન કરનારા તેમજ રસ્તા પર દબાણ કરનારાઓ સામે કાયદાનો સકંજો વધુ કડક કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાને પગલે આજે બપોર બાદ મુખ્ય બજારોના રસ્તાઓ પ્રમાણમાં મોકળા જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:56 pm

પંચમહાલમાં ભેંસ તોફાની બનતા પશુપાલક ગંભીર રીતે ઘાયલ:શહેરાના વાધજીપુરમાં ઘટના, યુવકને ગોધરા સિવિલમાં ખસેડાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાધજીપુર ગામે એક પશુપાલકને તેની જ ભેંસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. પશુ ચરાવવા નીકળેલા યુવકને તોફાની બનેલી ભેંસે પથ્થરના ઢગલા પર પછાડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, વાધજીપુર ગામના રહેવાસી વિક્રમભાઈ બારિયા પોતાની ભેંસને ચરાવવા લઈ ગયા હતા. ભેંસનું દોરડું તેમના હાથમાં હતું ત્યારે ભેંસ અચાનક તોફાની બનીને દોડવા લાગી. દોરડું હાથમાં વીંટળાયેલું હોવાથી વિક્રમભાઈ પણ તેની સાથે ઢસડાયા હતા. તોફાની ભેંસે વિક્રમભાઈને પથ્થરોના ઢગલા પર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિક્રમભાઈને તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે. હાલ પશુપાલક યુવકની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:55 pm

સોસાયટીમાં મેન્ટેનન્સ અને બાંધકામનો વિવાદ વકર્યો:ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પર પાઈપ-લાકડીથી જીવલેણ હુમલો; છેડતીના આક્ષેપ સાથે અડાલજમાં ફરિયાદ

અમદાવાદ શહેરના લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીમાં રહેતા નડિયાદ ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતના પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરવાના મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા ગજગ્રાહ ચાલતો હતોપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લીલાપુર વિસ્તારમાં આવેલી હૃદયકુંજ સોસાયટીમાં રહેતા ખેતીવાડી વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હીરેનકુમારના પત્ની સોસાયટીમાં ચેરમેન તરીકે સેવા આપે છે. સોસાયટીમાં બંગલા નંબર 3માં રહેતા વસંતીબેન અને તેમનો પરિવાર સોસાયટીના મંજૂર પ્લાન મુજબ પેરાફેટ ન બનાવવા દેતા હોવાથી તેમજ મેન્ટેનન્સ અને ડિપોઝિટની રકમ ન ભરતા હોવાથી લાંબા સમયથી ગજગ્રાહ ચાલતો હતો. યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધોઆ બાબતે ચેરમેન તરીકે હીરેનકુમારના પત્નીએ વારંવાર ટકોર કરતા પાડોશી પરિવાર તેમની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. ગઈકાલે રાત્રે આ વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વસંતીબેનની દીકરીએ હીરેનકુમારના ઘર સામે આવીને અગાઉના ઝઘડાની અદાવત રાખી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે હીરેનકુમારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલી યુવતીએ લોખંડની પાઈપ વડે હીરેનકુમાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન વસંતીબેન અને તેમનો દીકરો ધ્રુવ પણ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હીરેનકુમારને માર માર્યો હતો. યુવકે શોભનાબેન પર હુમલો કરી છેડતી કર્યાનો પણ આક્ષેપઆ ઝઘડો વધતા હીરેનકુમારના ભત્રીજા જ્યોતિરાદિત્ય અને પાડોશમાં રહેતા શોભનાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રુવ નામના યુવકે શોભનાબેન પર હુમલો કરી તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. હુમલાખોરોએ દવા પી ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારીઆટલેથી ન અટકતા હુમલાખોર પરિવારે જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વસંતીબેને પોતે દવા પી લઈને સામા પક્ષને ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને પાડોશીઓ દ્વારા તાત્કાલિક અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:54 pm

વાલ્કેટગેટ વિસ્તારમાં ત્રણ શખ્સોનો યુવાન પર છરી-ધોકા વડે હુમલો:ફૂઈના દીકરાને ઘરપાસે ગાળો બોલવાની ના પાડતા બાખડી પડ્યા, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

ભાવનગર શહેરના વાલ્કેટ ગેટ વિસ્તારમાં ફૂઈના દીકરાને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ફઈનો દીકરો તેમજ તેના પુત્ર મળી તેના મામાના દીકરા પર છરી અને ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગંગાજળિયા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાળો બોલવાની ના પાડતા છરી અને ધોકા વડે હુમલો કર્યોમળતી માહિત અનુસાર, ભાવનગર શહેરના વાલ્કેટગેટ વિસ્તારમાં આવેલ બહારફળીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ ઉર્ફે બોમ્બ જયંતિ મકવાણા ઉં.વ. 28એ ગંગાજળિયા પોલીસ મથકમાં તેની ફુઈના પુત્ર કાળુ ચૌહાણ અને કાળુના પુત્ર ચિરાગ કાળુ ચૌહાણ, ધમુ કાળું ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાજ મુજબ, ગઈકાલે(2 એપ્રિલે) તેના ઘર પાસે આવેલ શેરીમાં ઠાકર દ્વારા પાસે બેઠો હોય એ દરમિયાન તેના ફઈના પુત્રો જાહેરમાં બિભત્સ અપશબ્દો બોલતા હોય હાથી તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ ત્રણેય શખ્સોએ ફરિયાદી રાહુલ પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. યુવાનને લોહીયાળ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 3 સામે ગુનો નોંધાયોજે યુવાનની ફરિયાદના અનુસંધાને ગંગાજળીયા પોલીસે કાળુ ચૌહાણ, ચિરાગ કાળુભાઇ ચૌહાણ, ધમુ કાળુભાઇ ચૌહાણ રહે તમામ વાલકેટ ગેઇટ, ભાવનગરનાઓ વિરુદ્ધ BNS એક્ટ 118(1), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:53 pm

બોડેલીનું ઊંચકલમ કુંડી ગામ વિકાસથી વંચિત:ગ્રામપંચાયત વિના પ્રાથમિક સુવિધાઓનો અભાવ, લોકો સ્થળાંતર કરવા મજબૂર

બોડેલી તાલુકાના ઊંચકલમ કુંડી ગામમાં આજે વિકાસનો સૂર્યોદય હજુ બાકી હોય તેવું પ્રતીત થાય છે. આ ગામ પાયાની પ્રાથમિક સુવિધાઓથી એટલી હદે વંચિત છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનેક પરિવારોએ વતનનું આંગણું છોડી સ્થળાંતર કરવાની નોબત આવી છે. વિકાસ, સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારીના પોકળ દાવાઓ વચ્ચે આ અવિકસિત ગામના દ્રશ્યો હૃદયને હચમચાવી મૂકે તેવા છે. બોડેલી તાલુકાના ઊંચકલમ ગામનું કુંડી ફળિયું આજે પણ ઉપેક્ષાનો શિકાર છે. જે ગામ એક સમયે માનવીઓના કલશોરથી ગુંજતું હતું, તે આજે વીરાણ ભાસી રહ્યું છે. વતનની માયા છોડી અનેક લોકો હવે આ ગામનો ત્યાગ કરી ચૂક્યા છે. કુંડી ગામમાં જ્યાં ક્યારેક સમૂહજીવનની સુવાસ હતી, ત્યાં આજે માત્ર ભયાનક સન્નાટો પ્રસરેલો છે. એવું લાગે છે કે વિકાસનો માર્ગ આ ફળિયા સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી ગયો છે. અહીં નથી વીજળીના દર્શન થયા કે નથી પાકા રસ્તાની સુવિધા મળી. તરસ છિપાવવા માટે નળ કે હેન્ડપંપ તો સ્વપ્ન સમાન છે; ગામલોકોએ પીવાનું પાણી મેળવવા આજે પણ કોતરોમાં ભટકવું પડે છે. આ જ દુર્દશાને કારણે સક્ષમ લોકો ગામ છોડી ગયા છે, તો કેટલાક રોજીરોટીની શોધમાં સતત માઈગ્રેશન કરી રહ્યા છે. જે રહી ગયા છે, તે એકલવાયા વૃદ્ધો છે જેમનું જીવન હવે માત્ર સંઘર્ષની પરાકાષ્ઠા બનીને રહી ગયું છે. અહીં વસતા લોકો માટે જાયે તો કહા જાયે જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. અશક્ત કાયા હોવા છતાં પેટનો ખાડો પૂરવા વૃદ્ધોએ મજૂરીના શરણે જવું પડે છે. એક એવા વૃદ્ધ દંપતીની વ્યથા આંખમાં ઝળઝળિયાં લાવી દે તેવી છે, જેમણે પોતાની બે દીકરીઓ ગુમાવી દીધી છે અને કોઈ પુત્ર નથી. 75 વર્ષના અશક્ત પતિની આંખોની જ્યોતિ હવે મંદ પડી છે, જ્યારે તેમની 70 વર્ષની પત્ની જર્જરિત શરીરે મજૂરી કરી ઘરનો ચૂલો સળગતો રાખે છે. જો મજૂરી મળે તો રોટલો નસીબ થાય, નહીંતર ભૂખ્યા પેટે પાણી પીને રાત કાપવી પડે છે. પાણી માટે પણ તેમને કોતર સુધી લાંબા થવું પડે છે અને ચોમાસામાં ઝૂંપડાના નેવાંનું પાણી એકત્ર કરી તરસ છિપાવવી પડે છે. સરકારી ચોપડે કદાચ આ પરિવારનું અસ્તિત્વ જ નથી, કારણ કે તેમની પાસે નથી આધાર કાર્ડ, નથી રેશન કાર્ડ કે નથી ચૂંટણી કાર્ડ. જંગલ વિસ્તારની આ વસાહતમાં રાત્રિનો અંધકાર દીપડાના ભય સાથે વધુ બિહામણો બને છે. ઘરમાં વીજળી નથી અને ઘરને દરવાજો પણ નથી. ગત વર્ષના વાવાઝોડાએ તેમનું મકાન જમીનદોસ્ત કરી નાખ્યું હતું, જેના કારણે તેઓ હવે ગામ છોડી ગયેલા અન્ય એક પરિવારના મકાનમાં આશરો લઈ રહ્યા છે. આજે તો એકબીજાના સહારે આ જોડી જીવી રહી છે, પણ ક્યારેક એક સાથ છૂટશે ત્યારે બીજાનું શું થશે? તે વિચાર માત્ર કમકમાટી પેદા કરે છે. ગુજરાતના પ્રત્યેક નાગરિકને પાયાની સુવિધાઓ મેળવવાનો બંધારણીય હક્ક છે, તો પછી કુંડી ગામના આ રહીશોની અવગણના કેમ? ક્યાં સુધી આ લાચાર વૃદ્ધો અને મહિલાઓ ન્યાયની પ્રતીક્ષા કરશે? શું આ દયનીય હાલતના અહેવાલ બાદ વહીવટી તંત્રની નિદ્રા ઉડશે કે પછી આ પરિવારો નસીબના સહારે જ પોતાનું જીવન વ્યતીત કરશે? તે એક મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:44 pm

ગઢડાના ઉગામેડીમાં બાળકોને નોટબુક-પેનનું વિતરણ:કોળી સમાજના ઉપાધ્યક્ષે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે વાલ્મીકી સમાજના માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળી ઉપસ્થિત રહ્યા હતા. પ્રવિણ કોળી દ્વારા આ કાર્યક્રમ દરમિયાન બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ વિતરણ કાર્યક્રમ માત્ર ભૌતિક વસ્તુઓનું વિતરણ નહોતો, પરંતુ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને બાળકોને અભ્યાસ માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ હતો. આવા કાર્યોથી સમાજમાં શિક્ષણનું મહત્વ વધે છે અને બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:42 pm

લાખવડ ગામે ખેતરના પાઈપમાં અજગર ફસાયો:ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ, તારંગાના જંગલોમાં મુક્ત કરાયો

મહેસાણા નજીક આવેલા લાખવડ ગામે વન્યજીવ પ્રેમીઓની સતર્કતાને કારણે એક વિશાળ અજગરનો જીવ બચાવી તેને કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો છે. લાખવડ ગામના ખેડૂત દિનેશજી ઠાકોરના ખેતરમાં પાણીની પાઈપમાં એક અજગર ફસાઈ ગયો હોવાની જાણ થતા જ સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુઆ ઘટનાની વિગત મુજબ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાઈપ લાઈનમાં અજગર હોવાનું જણાતા તાત્કાલિક ધોરણે મહેસાણાના 'સદભાવના ફાઉન્ડેશન' અને 'નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર'નો સંપર્ક કરવામાં આવ્યો હતો. વન્યજીવોના સંરક્ષણ માટે જાણીતી આ બંને સંસ્થાઓના સભ્યો તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ પાઈપમાં ફસાયેલા અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અજગરને તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરાયોરેસ્ક્યુ કરાયેલા આ અજગરને બાદમાં તેની સુરક્ષા અને ખોરાકની અનુકૂળતાને ધ્યાને રાખી તારંગાના ગાઢ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદભાવના ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ વર્ષોથી મહેસાણા જિલ્લામાં નિઃસ્વાર્થ ભાવે કાર્યરત છે. સેવાભાવી સંસ્થાઓ મદદે દોડી આવી'તીરહેણાંક કે ખેતીવાડી વિસ્તારમાં ચડી આવતા સરીસૃપ જીવોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર પકડીને તેમને તેમના મુક્ત અને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત પહોંચાડવાની ઉમદા કામગીરી આ સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:39 pm

વિકાસ થી વંચિત રહેવાસીઓનો તંત્ર સામે ઉગ્ર રોષ:જૂનાગઢ વોર્ડ 10ના શીતલાકુંડના વિકાસ કામ અટવાતા રહેવાસીઓમાં રોષ, 50 લાખની ગ્રાન્ટ છતાં કામગીરી શૂન્ય; 7 દિવસમાં કામ નહીં શરૂ થાય તો ઉપવાસની ચીમકી...

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલ નવાનગરવાડા વિસ્તારનું ઐતિહાસિક અને પૌરાણીક શીતલાકુંડ મંદિર છેલ્લા ઘણા સમયથી વિકાસના અભાવે અવ્યવસ્થિત સ્થિતિમાં છે. ધાર્મિક અને સામાજિક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ સ્થળે વર્ષ દરમિયાન અનેક તહેવારો અને પ્રસંગોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે શીતળા સાતમ, મોટી સાતમ જેવા તહેવારો ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે દીપમાળાના પ્રસંગે અહીં હજારો ભાવિકો ભેગા થાય છે. છતાં, તંત્ર દ્વારા સ્થળના વિકાસ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભાવિકોને તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ શીતલાકુંડના વિકાસ માટે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વિકાસ કામ ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ હાથ ધરવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને તેની માહિતી ધારાસભ્યની ત્રિવેણી સંગમ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ જાહેરાતથી સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે શીતલાકુંડનો વિકાસ થશે અને અહીં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે.પરંતુ, વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. આજદિન સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારનું વિકાસ કામ શરૂ થયું નથી. માત્ર પ્લાન અને નકશા તૈયાર થઈ રહ્યા હોવાના આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન પર કોઈ કામગીરીનો અણસાર પણ દેખાતો નથી. આથી સ્થાનિકોમાં નિરાશા અને રોષ બંને વધી રહ્યા છે. આ મુદ્દે શીતલાકુંડ વિસ્તારના રહેવાસી મિહિર મહેતાએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ 9 માર્ચ 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો આગામી સાત દિવસમાં શીતલાકુંડના રિનોવેશનનું કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવા મજબૂર બનશે. બીજી તરફ, સ્થાનિક રહેવાસી નારાયણ મેઘજી ઝાલાએ પણ તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તેમણે ઉમેર્યું કે શિવરાત્રી અને હનુમાન જયંતી જેવા મોટા તહેવારો પસાર થઈ ગયા હોવા છતાં, કોઈ પણ અધિકારી કે સત્તાધીશે આ સ્થળની મુલાકાત લીધી નથી કે વિકાસ કામ ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટતા કરી નથી.તંત્રની આ ઢીલી નીતિ સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનું કહેવું છે કે આ સ્થળ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે, છતાં તેને અવગણવામાં આવી રહ્યું છે. સ્થળ પર સાફસફાઈ, બેસવાની વ્યવસ્થા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. આ પરિસ્થિતિથી કંટાળી શીતલાકુંડ વિસ્તારના રહીશોએ 2 એપ્રિલ 2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સાત દિવસની અંદર વિકાસ કામ શરૂ નહીં થાય, તો તેઓ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેમણે આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે.આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે શીતલાકુંડનું ઐતિહાસિક અને પૌરાણીક મહત્વ જાળવવા માટે તાત્કાલિક ધોરણે વિકાસ કામ શરૂ કરવું જરૂરી છે. તેઓએ કમિશનરને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હવે તેમની સહનશક્તિનો અંત આવી રહ્યો છે. જો તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ કરવા મજબૂર બનશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલમાં સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના આ આંદોલનની ચેતવણી પછી તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લે છે કે નહીં.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:37 pm

ભરૂચમાં ગુડ ફ્રાયડે નિમિત્તે ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ:ખ્રિસ્તી અનુયાયીઓએ ઉપવાસ સાથે ઈસુના બલિદાનને યાદ કર્યા

ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારે ગુડ ફ્રાયડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેર અને જિલ્લાના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા. ગુડ ફ્રાયડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવી યાતનાઓ આપવામાં આવી હતી, જેની સ્મૃતિમાં ખ્રિસ્તી વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહે છે. ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભક્તિગીતો, બાઈબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુના બલિદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ. જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધ્યા હતા. તેમણે ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સંદેશ આપ્યો અને માનવતા, પ્રેમ તથા ક્ષમાના મૂલ્યો પર ભાર મૂક્યો. તેમણે દેશ, દુનિયા અને ભરૂચ શહેરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આમ, ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાયડેનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:31 pm

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ:કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. મતદારયાદીની ચકાસણી, માર્ક કોપી તૈયાર કરવી, ઈવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા અને ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઈ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી સુનિશ્ચિત કરવા પણ જણાવાયું હતું. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ ભાર મુકાયો હતો. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને તેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી કરી તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:21 pm

ભરૂચમાં બે ટ્રક અથડાતાં એકનું મોત:નબીપુર પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો;કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા ભારે જહેમત

ભરૂચ જિલ્લામાં વડોદરા-સુરત નેશનલ હાઈવે પર નબીપુર નજીક માંચ પાટિયા પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણ એટલી જોરદાર હતી કે એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:13 pm

પાટણમાં ભાજપ દ્વારા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા તેજ:રીવાબા જાડેજા સહિત નિરીક્ષકોએ દાવેદારોની રજૂઆતો સાંભળી

પાટણ જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયાના બીજા દિવસે ત્રણ સભ્યોની નિરીક્ષક સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાના ભાગરૂપે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયા માટે પક્ષ દ્વારા ત્રણ સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો બે અલગ-અલગ સ્થળોએ દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે અને પાયાના કાર્યકરો પાસેથી ઉમેદવારો અંગેના અભિપ્રાયો મેળવી રહ્યા છે. બીજા દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ તબક્કે પાટણ નગરપાલિકા માટે ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સિદ્ધપુર નગરપાલિકાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા અને ટેકો જાહેર કરવા ઉમટી પડ્યા હતા. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો અને સિદ્ધપુર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો સહિત કુલ 80 બેઠકો માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. સેન્સ પ્રક્રિયા પહેલા રાષ્ટ્રીય કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે, ટિકિટ મળે કે ન મળે, પાર્ટી માટે કામ કરવું જોઈએ.નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા આ અભિપ્રાયો અને મળેલી રજૂઆતોના આધારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ આગામી સમયમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે. નિરીક્ષકોના અહેવાલ અને પક્ષના આંતરિક સર્વેના આધારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. ચૂંટણીની તારીખ નજીક હોવાથી ભાજપ દ્વારા વહેલી તકે સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરવાની દિશામાં કવાયત તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:10 pm

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ભિક્ખુણી ઉત્પલવર્ણાની ઉપસ્થિતિમાં ધમ્મ દેશના અને પ્રવચનો યોજાયા

બોટાદના સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે 02-04-26 ના રોજ સાંજે 7 કલાકે ચૈત્ર માસ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય ઉત્પલવર્ણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બુદ્ધને પુષ્પ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો. ત્યારબાદ બૌદ્ધ સાધુ દ્વારા ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદના કરવામાં આવી. રાહુલભાઈ વાજાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. 'ધર્મ અને તેનું તત્વજ્ઞાન' વિષય પર જયંતિભાઈ ચાવડા, અમૃતભાઈ કલીવડા, મયુરભાઈ જમોડ, મોન્ટુભાઈ માળી, બિજલભાઈ પરમાર અને હિંમતભાઈ ગોહિલ સહિતના વક્તાઓએ પ્રવચનો આપ્યા. ભિક્ખુણી ઉત્પલવર્ણાજીએ 'સમ્યક જીવનની આધારશિલા' પર ધમ્મ દેશના આપી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કર્મચારીઓને બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગીરીશભાઈ પરમારે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું, જ્યારે દીપકભાઈ સોલંકીએ આભારવિધિ કરી. બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ ઉત્સવમાં વિનોદભાઈ ભાદરકા, હરેશભાઈ પરમાર, બોધિરાજ બૌદ્ધ, મૌલેશભાઈ સોલંકી, ડાયાભાઈ ચાવડા, પ્રિતેશભાઈ ચાવડા, અલ્પેશ ખુમાણ, રાજેશભાઈ જાદવ, મનિષભાઈ પરમાર, મુકેશભાઈ ચૌહાણ, અમરાભાઈ બથવાર, કાળુભાઈ વાજા, કિરણભાઈ બથવાર, દિનેશભાઈ કાનપરીયા, ભાવેશભાઈ પરમાર, પ્રકાશભાઈ મકવાણા, જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ ચૌહાણ, સાહિલ વાજા, પ્રતિભા બૌદ્ધ, નિરમાબેન પરમાર, આરતિબેન ભાદરકા, લક્ષ્મીબેન બથવાર, દીપ્તિબેન પરમાર સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ અને સમાનતાવાદીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે હરેશભાઈ પરમાર, વિનોદભાઈ ભાદરકા અને ડાયાભાઈ ચાવડા તરફથી સુજાતા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌ ઉપસ્થિતોએ લાભ લીધો. આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ શહેરમાં વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધમ્મ પદયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 12:09 pm

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, લસણના પાકને ભારે નુકસાન:વેરાવળના સવની સહિતના ગામોમાં ખેડૂતોની મહેનત પર પાણી

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વેરાવળ તાલુકાના સવની, ઇશ્વરીયા, મંડોર અને દેવળી સહિતના ગામોમાં લસણના તૈયાર પાકને ભારે અસર પહોંચી છે. વહેલી સવારે લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી લસણના પાથરા પલળી ગયા છે અને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. પાંચ મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો પાક બગડતા ખેડૂતો ચિંતિત છે, કારણ કે ઘણા ખેડૂતો માટે આ પાક જ વર્ષભરની આવકનો મુખ્ય સ્ત્રોત છે. સવની ગામના ખેડૂત જયેશભાઈ ઝાલાએ જણાવ્યું કે, લસણના એક વીઘા પાક પાછળ અંદાજે 12થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે. વર્તમાન પરિસ્થિતિમાં પાક બગડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, મહિનાઓની મહેનત બાદ પાક તૈયાર કર્યો હતો, પરંતુ એક જ વરસાદે બધું બગાડી નાખ્યું છે. તેઓ હવે સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે લસણની ગુણવત્તા પર સીધી અસર પડી રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં વાતાવરણ સ્વચ્છ નહીં રહે તો નુકસાન વધુ ગંભીર બની શકે છે. આ મુશ્કેલી વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી છે. ખેડૂતોની અપેક્ષા છે કે પાક નુકસાનીનું સર્વેક્ષણ કરીને તેમને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આર્થિક સંકટમાંથી રાહત મળી શકે. અન્ય એક ખેડૂત સાજણભાઈ ગરચરે જણાવ્યું કે, લસણના પાથરા પાણીમાં પલળી ગયા છે અને હવે વેચાણ યોગ્ય પાક બચશે કે કેમ તે અંગે શંકા છે. હાલ ખેડૂતો સરકાર તરફથી તાત્કાલિક સહાયની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો ગીર સોમનાથના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ આર્થિક સંકટનું કારણ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:55 am

કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદ:પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પૂર્વ કચ્છના મુખ્ય શહેરો ગાંધીધામ, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા ગુરુવારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે અબડાસા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. ગાંધીધામ અને અંજાર શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કચ્છમાં સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લીધે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ અને બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:52 am

યંગ જાયન્ટ્સ બોટાદે મંદબુદ્ધિ આશ્રમમાં ભોજન કરાવ્યું:સ્વ. પ્રવિણચંદ્ર દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા તાજેતરમાં માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમ, સમઢિયાળા ખાતે દિવ્યાંગ સભ્યોને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વ. પ્રવિણચંદ્ર વૃજલાલ દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે યોજાયો હતો. તા. 02-04-2026ના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે આ ભોજન સમારોહનું આયોજન કરાયું હતું. ભોજનમાં કેરીનો રસ, બુંદીના લાડુ, દાળ, ભાત, શાક અને રોટલીનો સમાવેશ થતો હતો. યંગ જાયન્ટ્સ બોટાદના પ્રમુખ અમન દોશીના સૌજન્યથી આ સેવાકાર્ય હાથ ધરાયું હતું. આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય આશ્રમના નિરાધાર અને દિવ્યાંગ સભ્યોના ચહેરા પર ખુશી લાવવાનો અને તેમની સાથે સમય વિતાવી આનંદ વહેંચવાનો હતો. યંગ જાયન્ટ્સ સંસ્થા જન સેવાને પ્રભુ સેવા માનીને આવા અનેકવિધ કાર્યક્રમો કરતી રહે છે. આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટાદના પ્રમુખ અમન દોશી અને આગમ ડગલી સહિત સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:41 am

બોટાદમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચે શહીદોને શ્રદ્ધાંજલિ આપી:એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર યુવાનોને યાદ કરાયા

બોટાદ શહેરમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર દલિત સમાજના યુવાનોની યાદમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2018ના રોજ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ એટ્રોસિટી એક્ટની કેટલીક કાયદાકીય જોગવાઈઓમાં ફેરફાર કરાયા હતા. આ કાયદાને ફરીથી સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ સાથે થયેલા આંદોલનો દરમિયાન દલિત સમાજના કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી સહિત વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર, કેશવભાઈ મકવાણા, રતિલાલભાઈ ચૌહાણ, જેરામભાઈ તાવિયા, પ્રેમજીભાઈ પરમાર, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંદરભાઈ જોખિયા, ઝાકિરભાઈ સંધી, બાબુભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દયાળભાઈ વાજા, હરગોવિંદભાઈ સાબળિયા અને નરેન્દ્રભાઈ બગડા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:39 am

વલસાડમાં ગરમીનો પારો યથાવત્:ગઈકાલે બપોરે આકરા તાપથી જનજીવન પ્રભાવિત, આજે પણ 32 ડિગ્રી પાર

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે બપોરે આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે પણ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. ગુરુવારે વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 32.3C નોંધાયું હતું. વહેલી સવારથી જ આકાશ ચોખ્ખું રહેતા તાપની તીવ્રતા અનુભવાઈ હતી. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમ પવનો ફૂંકાતા નોકરીયાત વર્ગ અને રાહદારીઓ પરેશાન થયા હતા. લઘુત્તમ તાપમાન 24.6C રહેતા રાત્રિના સમયે થોડી રાહત મળી હતી. જોકે, આજે શુક્રવારે પણ ગરમીનું જોર યથાવત રહેશે. મહત્તમ તાપમાન 31C થી 32C ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 24C ની આસપાસ રહેવાની સંભાવના છે. આકાશ ચોખ્ખું રહેશે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બપોરના સમયે અસહ્ય બફારો અનુભવાઈ શકે છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, વલસાડમાં વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ પવનની ગતિમાં ફેરફાર થવાથી ગરમીના મિજાજમાં આંશિક વધ-ઘટ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 11:07 am

‘સ્વાદની નગરી’ સુરતમાં ગેસની તંગીનું ગ્રહણ:વેજ બિરયાનીની શોપને લાગ્યા તાળા; માલિકે ‘Sorry, We're Closed Due to LPG Shortage’નું પોસ્ટર માર્યું

પોતાની ખાણીપીણી માટે જાણીતા સુરત શહેર પર હાલમાં ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, વેપારીઓએ લાચારીમાં પોતાની દુકાનો બંધ કરવી પડી રહી છે. શહેરના પોશ ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી ‘શ્યામ શુદ્ધ શાકાહારી વેજ બિરયાની’ શોપની બહાર માલિકે એક પોસ્ટર લગાવ્યું છે, જેના પર લખ્યું છે: “Sorry, We're Closed Due to LPG Shortage.” ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે વેપારીઓ રસોઈ બનાવી શકતા નથી, જેને પરિણામે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. વૈશ્વિક યુદ્ધની સ્થાનિક અસરઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માર્ગેથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ગેસની માંગ હંમેશા વધુ રહેતી હોય છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કટોકટી હવે સ્થાનિક લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ માલિકોની રોજીરોટી છીનવી રહી છે. ભાવ વધારાનો બેવડો મારમાત્ર અછત જ નહીં, પરંતુ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પણ વેપારીઓની કમર તોડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો સિલિન્ડર મેળવવા માટે વેપારીઓએ નિયત ભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. સ્થાનિકોની વ્યથાઆ અંગે પડોશના એક દુકાનદારે જણાવ્યું હતું કે, આ બિરયાની રેસ્ટોરન્ટ છેલ્લા એક મહિનાથી બંધ છે. અહીં ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી ગેસની બોટલ ન મળવાને કારણે અને સતત પડતી મુશ્કેલીઓને લીધે માલિકે આખરે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:55 am

રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર થયો, બે મહિનામાં બીજીવાર વધારો ઝીંકાયો

હાલ ઇરાન-ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60 જેટલો મોંઘો થયો છે. જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો. પરંતુ તેના બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. આ ભાવવધારાથી રીક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે. કારણ કે, 2025 બાદ હવે 2026 નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. વર્ષ 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. વર્ષ 2025 માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો વર્ષ 2026 ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNG નો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ ઈરાન-અમેરિકા-ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:50 am

ચૂંટણીની જાહેરાત થતા ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા:નિઝામપુરામાં પાણીથી ત્રસ્ત રહીશોનો વિરોધ, ‘નોટા’માં મતદાન કરવાની આપી ચીમકી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.” સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 30 વર્ષથી ભાજપના શાસનમાં પણ પાણીથી વંચિત છીએ: સ્થાનિક રહીશએક સ્થાનિક રહીશે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અમે મત આપીએ છીએ ત્યારે અમારી પ્રાથમિક જરૂરિયાત ગટર, પાણી અને રોડ-રસ્તાની સુવિધા મળવી જોઈએ. અમે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીથી વંચિત છીએ. સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ‘જો યોગ્ય ઉમેદવાર નહીં હોય તો અમે નોટામાં મતદાન કરીશું’રહીશે વધુમાં જણાવ્યું કે, વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે 2022માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે તેમણે આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા જૈસે થે છે. ધારાસભ્ય બન્યા બાદ તેમને પત્ર લખી રજૂઆત કરતા તેમણે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી. જો આ ચૂંટણીમાં કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ ઉમેદવાર તરીકે નહીં હોય, તો અમે ચોક્કસપણે ‘નોટા’માં મતદાન કરીશું. કામ કરશે તેને જ અમારો વોટ મળશે: સમીરભાઈઅન્ય એક સ્થાનિક રહીશ સમીરભાઈએ જણાવ્યું હતું કે, અમને છેલ્લા 30 વર્ષથી પાણીની સમસ્યા છે. છેલ્લા 10 વર્ષથી તો અમે સતત રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. કોર્પોરેશન પાસે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ અહીં આયોજનનો (પ્લાનિંગનો) અભાવ છે. જે નેતા અમારું કામ કરશે, તેને ચોક્કસથી વોટ મળશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:37 am

વલસાડ પોલીસમાં આંતરિક બદલીઓ:ડુંગરા PI એસ.પી. ગોહિલને GIDCનો હવાલો સોંપાયો

વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જિલ્લામાં આંતરિક બદલીના આદેશો કર્યા છે. આ અંતર્ગત ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસ.પી. ગોહિલને વાપી GIDC પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. વાપી GIDCના પીઆઈ અમીરાજસિંહ રાણાની સુરત ગ્રામ્ય ખાતે બદલી થતાં આ જગ્યા ખાલી પડી હતી. આ બદલીઓ વલસાડ જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને વહીવટી કારણોસર કરવામાં આવી છે. પીઆઈ ગોહિલની નિમણૂક બાદ ડુંગરા પોલીસ મથક ખાતે ગત ગુરુવારે રાત્રે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં પોલીસ સ્ટાફ અને વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીઆઈ ગોહિલના કાર્યકાળમાં થયેલી પ્રજાલક્ષી કામગીરી અને ગુનાખોરી ડામવા માટેના પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા. પીઆઈ એસ.પી. ગોહિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો અને પોલીસ સ્ટાફના સહકાર વગર સારી કામગીરી શક્ય નથી. કાર્યક્રમના અંતે સાથી કર્મચારીઓ અને અગ્રણીઓ દ્વારા પીઆઈ ગોહિલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને આતશબાજી પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:36 am

નારણપુરામાં હનુમાન જયંતિએ રામોત્સવ ઉજવાયો:માતૃશક્તિ જિલ્લા સંયોજિકાના નિવાસે કાર્યક્રમ યોજાયો

કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે રામોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદના નારણપુરા જિલ્લાના સંયોજકના નિવાસે ઉજવાયો હતો. કાર્યક્રમમાં શ્રી હનુમાનજી અને શ્રી રામજીના ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. માતૃશક્તિના સંયોજક નેહાબેન વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આચાર પદ્ધતિથી સત્સંગનો પ્રારંભ કરાયો હતો, જેમાં હનુમાન જયંતિ નિમિત્તના ભજન, રામજી રાજાના ભજન અને તેમની સ્તુતિ કરવામાં આવી હતી. આરતી અને તિલક સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ સત્સંગ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન, રન્ના પાર્ક પ્રખંડ સંયોજક નીતાબેન અને સોલા પ્રખંડ સંયોજિકા જયશ્રીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન જયઘોષ અને આરતી સાથે કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:17 am

મુંબઈ-દિલ્હી વચ્ચે દોડશે 'વંદે ભારત કાર્ગો ફ્રેઈટ' ટ્રેન:નવેમ્બરના અંત સુધીમાં હાઈ-સ્પીડ કાર્ગો ટ્રેનના ટ્રાયલની શક્યતા, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે 'ગેમ ચેન્જર' બનશે

ભારતીય રેલવે હવે મુસાફરોની મુસાફરીમાં ક્રાંતિ લાવ્યા બાદ માલસામાનના પરિવહન ક્ષેત્રે પણ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. દેશની સૌથી ઝડપી ટ્રેન 'વંદે ભારત'ના સફળ મોડલને હવે માલવાહક એટલે કે કાર્ગો ક્ષેત્રે ઉતારવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સમાચાર એ છે કે, રેલવે મંત્રાલય ટૂંક સમયમાં 'વંદે ભારત કાર્ગો ફ્રેઈટ' ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન શરૂઆતી તબક્કે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વચ્ચે દોડાવવાનું આયોજન છે, જેનો સીધો અને મોટો ફાયદો સુરત, વાપી અને વલસાડના ઔદ્યોગિક એકમોને મળવાનો છે. 160 કિમી પ્રતિ કલાકની ઝડપ હશેરેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 કોચ ધરાવતી આ હાઇ-સ્પીડ કાર્ગો ટ્રેનનું પ્રોટોટાઇપ રેક હાલમાં નિર્માણાધીન છે. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા આગામી નવેમ્બર મહિનાના અંત સુધીમાં આ ટ્રેનનું સત્તાવાર પરીક્ષણ એટલે કે ટ્રાયલ રન શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે માલસામાનની હેરફેર કરી શકે, જે અત્યાર સુધીની માલગાડીઓની સરખામણીએ અનેકગણી ઝડપી હશે. દૂધ-પનીર, તાજા શાકભાજી રાખવા રેફ્રિજરેટેડ સિસ્ટમઆ કાર્ગો ટ્રેનની સૌથી મોટી અને મહત્વની વિશેષતા તેની 'કંટ્રોલ્ડ ટેમ્પરેચર સિસ્ટમ' છે. અત્યાર સુધી રેલવેમાં નાશવંત ચીજવસ્તુઓના પરિવહન માટે ઘણી મર્યાદાઓ હતી, પરંતુ વંદે ભારત કાર્ગોમાં રહેલી આધુનિક રેફ્રિજરેટેડ સિસ્ટમને કારણે દૂધ, પનીર, ફળો અને તાજા શાકભાજી બગડ્યા વગર ગણતરીના કલાકોમાં દિલ્હી કે મુંબઈના બજારોમાં પહોંચશે. વાપી અને વલસાડના ફાર્મા હબમાંથી જીવનરક્ષક દવાઓ અને વેક્સિન જેવી ચીજોને ચોક્કસ તાપમાનમાં સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટ કરી શકાશે. સી-ફૂડની નિકાસમાં આ ટ્રેન બુસ્ટર ડોઝ સમાનદક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સી-ફૂડની નિકાસમાં આ ટ્રેન બુસ્ટર ડોઝ સમાન સાબિત થશે. સુરતનું કાપડ અને હીરા બજાર અત્યારે મોટાભાગે રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર છે, જેમાં સમય અને ખર્ચ બંને વધુ લાગે છે. જો મુંબઈ-દિલ્હી રૂટ પર આ સેવા શરૂ થાય છે, તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ દેશના અન્ય મોટા બજારો સાથે સીધો અને હાઈ-સ્પીડ સંપર્ક સાધી શકશે. ટ્રેન ઝડપની સાથે સુરક્ષિત પણ હશેલોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે સ્થાનિક ઉત્પાદનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. આ ટ્રેન માત્ર ઝડપી જ નહીં, પણ અત્યંત સુરક્ષિત પણ હશે. તેમાં મોડ્યુલર લોડિંગ સિસ્ટમ હશે, જેનાથી સામાન ચઢાવવા-ઉતારવામાં સમયનો બચાવ થશે. આ ઉપરાંત, ટ્રેનમાં સેન્સર આધારિત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અને શ્રેષ્ઠ વેન્ટિલેશન સુવિધા હશે, જે સામાનની સલામતીની ખાતરી આપશે. વેપારીઓ પોતાના કાર્ગોનું રિયલ ટાઈમ લોકેશન પણ જાણી શકશે. દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે આ ટ્રેન દેશના મુખ્ય બંદરોને દિલ્હી સાથે ઝડપથી જોડશે, જેનાથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટની પ્રવૃત્તિઓમાં તેજી આવશે. દક્ષિણ ગુજરાતના કેમિકલ અને પેકેજિંગ ઉદ્યોગો માટે પણ આ ટ્રેન 'ગેમ ચેન્જર' સાબિત થશે. એકંદરે, વંદે ભારત કાર્ગો ફ્રેઇટ ટ્રેન ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખશે અને દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:14 am

ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ ત્રાટકી:ચિલોડા પાસે બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે પેડલર 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ડભોડાનો મીત પ્રજાપતિ મુખ્ય સૂત્રધાર

ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ પૂર્વ બાતમીના આધારે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગર-સુરત રૂટની એસ.ટી. બસમાં માદક પદાર્થની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે પેડલરોને રૂ .5.97 લાખની કિંમતના 11 કિલો 940 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધા છે. જેમાં મુખ્ય સૂત્રધાર ડભોડાનો મીત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હિંમતનગરથી સુરત જતી બસમાં જતા હોવાની બાતમી મળીએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. ઝાલા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગરથી સુરત જતી બસમાં બે ઇસમો નશાકારક જથ્થા સાથે મુસાફરી કરી રહ્યા છે અને તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે. આ બાતમીના આધારે પોલીસે ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બપોરના સમયે એસ.ટી. બસ ત્યાં આવી પહોંચતા બાતમી મુજબના બે શખ્સો થેલા સાથે નીચે ઉતર્યા હતા, જેમને પોલીસે તુરંત કોર્ડન કરી લીધા હતા. પ્લાસ્ટિકની 12 કોથળીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યોઆ અંગે પોલીસે જણાવ્યું કે,પકડાયેલા શખ્સોની ઓળખ વિરાજ પરેશકુમાર સોલંકી (રહે. મોટી ભાગોર,ડભોડા, ગાંધીનગર) અને આદિત્ય મથુરભાઇ બારૈયા (રહે. અમદાવાદ, મૂળ પંચમહાલ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેના થેલાઓમાંથી કુલ 12 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. જેની એફએસએલ અધિકારી એ પણ પુષ્ટિ કરી છે. જેનું કુલ વજન 11.940 કિલોગ્રામ અને કિંમત અંદાજે 5,97,000 રૂપિયા છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ જથ્થો હડાદ ગામ પાસે રહેતા નાગજીભાઇ ગલબાભાઇ બુબડીયા પાસેથી લાવ્યા હતા. આ માટે તેમણે નાગજીભાઇને રોકડા અને પેટીએમ દ્વારા કુલ 1.30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જથ્થો ડભોડાના ડેલુ વાસમાં રહેતા મિત પ્રજાપતિ નામના શખ્સને પહોંચાડવાનો હતો. બંને આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન અને બસની ટિકિટો મળી કુલ 6,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિલોડા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાગજીભાઇ અને મિત પ્રજાપતિને પકડવા ચક્રો ગતિમાન કરી આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:05 am

બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારનું શાસન હતું. હવે સાડા સાત વર્ષના લાંબા ગાળા બાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતની બેઠકોમાં ફેરફાર થયો છે. અગાઉની 66 બેઠકોની સામે હવે 48 બેઠકો પર ચૂંટણી યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો પર ચૂંટણી થશે. આ ઉપરાંત, જિલ્લામાં આવેલી કુલ 10 તાલુકા પંચાયતોમાં 240 બેઠકો પર ચૂંટણી યોજાશે. તાલુકાવાર બેઠકોની વિગત જોઈએ તો: પાલનપુરમાં 34, વડગામમાં 28, દાંતામાં 20, હડાદમાં 16, અમીરગઢમાં 20, ડીસામાં 38, ઓગડમાં 20, ધાનેરામાં 26, દાંતીવાડામાં 18 અને કાંકરેજમાં 20 બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાશે. જેમાં પાલનપુર નગરપાલિકામાં 44 વોર્ડ, ડીસા નગરપાલિકામાં 44 વોર્ડ અને ધાનેરા નગરપાલિકામાં 28 વોર્ડ પર મતદાન થશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:01 am

સાઅપરાધ મનુષ્યવધ અંતર્ગત પતિને 5 વર્ષની કેદ યથાવત ::પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હુમલો કર્યો હતો, સારવાર દરમિયાન પત્નીનું મોત

ગુજરાત હાઇકોર્ટે પતિને હત્યા નહીં, પરંતુ સઅપરાધ માનવવધ માટે દોષિત ઠરાવવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપી પતિએ પત્નીને પોતાના પ્રેમી સાથે ઘરમાં જ આપત્તિજનક સ્થિતિમાં જોતાં હુમલો કર્યો હતો અને એમાં પત્નીનું મોત થયું હતું. આ કેસની ટ્રાયલ ચાલી જતા પંચમહાલ, ગોધરાની કોર્ટે આરોપી પતિને સઅપરાધ માનવવધ માટે દોષિત ઠરાવ્યો હતો અને 05 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. સ્વબચાવમાં હુમલો કરતાં પત્નીનું મૃત્યુ થયું હોવાની દલીલ કરી હતીજેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને સ્વબચાવમાં હુમલો કરતાં પત્નીનું મૃત્યુ થયું હોવાની દલીલ કરી હતી. જેને માનવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો અને ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય છે અને તેને આરોપીને IPC 304 અંતર્ગત કેસના તમામ પાસા અને ગુણદોષની ચકાસણી કર્યા બાદ કાયદાની જોગવાઇઓને ધ્યાનમાં લઇ ચુકાદો આપ્યો છે. આ સંજોગોમાં પતિની અપીલ રદ કરવામાં આવે છે. ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખવામાં આવે છે. આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. જેમાં આરોપી પતિ 1997ના વર્ષની એક રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે તેના સરકારી ક્વાર્ટર ખાતે પરત આવ્યો હતો. ત્યારે તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ હતી. પત્નીનું આવું કૃત્ય જોતાં પતિએ પારો ગુમાવ્યો હતો અને તે સમયે પત્નીએ તેની ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે જો તે તેમની વચ્ચે આવશે તો તેને જીવવા નહીં દે. તેથી વિવાદ સર્જાયો હતો અને ગરમાગરમી થતાં પતિએ પત્નીને મારી હતી અને દિવાલ સાથે માથું પણ પછડાવ્યું હતું. પતિએ આ હુમલા દરમિયાન તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ પણ કર્યો હતો. પત્નીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને સારવાર માટે લઇ ગયા હતા. જો કે ગંભીર ઇજાઓના પગલે તેનું મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:58 am

પાટણ પાલિકામાં 6 એપ્રિલથી નવા વેરા સ્વીકારાશે:ઇ-નગર સોફ્ટવેર અપડેશનને કારણે 5 એપ્રિલ સુધી કામગીરી બંધ

પાટણ નગરપાલિકામાં નવા નાણાકીય વર્ષ 2026-27 માટે સંયુક્ત વેરા સ્વીકારવાની કામગીરી 6 એપ્રિલ, 2026થી શરૂ થશે. હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગની પ્રક્રિયાને કારણે 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવા સહિતની તમામ ઓનલાઇન કામગીરી બંધ રાખવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા કરદાતાઓ માટે નવા વર્ષના વેરા ભરવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્ય સ્તરે વેરા શાખાના કોમ્પ્યુટરો અને ડેટા જનરેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વેરા સોફ્ટવેરને નવા વર્ષ મુજબ અપડેટ કરવામાં આવી રહ્યું હોવાથી હાલમાં ટેકનિકલ કારણોસર વેરા સ્વીકારવાની કામગીરી સ્થગિત છે. આ સોફ્ટવેર અપડેટ થયા બાદ 6 એપ્રિલથી નગરપાલિકામાં રાબેતા મુજબ વેરા ભરી શકાશે. નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકો અને કરદાતાઓને જાણકારી મળી રહે તે હેતુથી પાલિકાની વેરા શાખાની બહાર લેખિત સૂચના પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સૂચનામાં 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવાની અને ઇ-નગર સોફ્ટવેર સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે તેમ જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:57 am

રાધનપુર કોર્ટે બે મૃતક શિક્ષકના પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો:કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને ₹1.11 કરોડનું વળતર મળશે

રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઈમ ટ્રિબ્યુનલે (કોર્ટે) એક અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારજનોને કુલ ₹1,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 3 ઓક્ટોબર, 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે બની હતી. એક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ તેજાભાઈ પરમાર (રહે. દુદાખા) અને સમી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષક માધાજી લાખાજી ઠાકોર (રહે. નાની ચંદુર, તા. સમી)નું મૃત્યુ થયું હતું. આ મોટર અકસ્માત વળતર કેસમાં રાધનપુર કોર્ટની ટ્રિબ્યુનલના જજ આર. આર. ચૌધરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અકસ્માત સર્જનારા કાર ચાલક અને વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200નું વળતર મળશે. મૃતક ટોકરભાઈના પત્ની લીલાબેન અને પુત્રો મેહુલ તથા મનોજે ₹50 લાખના વળતરની માંગણી કરી હતી. જ્યારે માધાજીના પત્ની લીલાબેન ઠાકોર અને પુત્ર કુલદીપે ₹3 કરોડના વળતર માટે રાધનપુર કોર્ટમાં તેમના વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી અને બંને મૃતકોની આવક તેમજ સંભવિત આવકના પુરાવા ધ્યાનમાં લીધા હતા. આ આધારે, કોર્ટે કાર ચાલક અને વીમા કંપનીને ઉપરોક્ત રકમનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:54 am

હવે સેકન્ડોમાં ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’:મિલ્કમાં યુરિયા છે કે પાણી? સેકન્ડોમાં ટેસ્ટ, નકલી દવા-કફ સીરપની પણ થશે તપાસ; સુરતમાં 50 કરોડની હાઈટેક લેબ બનશે

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર, મિલાવટી મસાલા અને ભેળસેળિયા દૂધના કૌભાંડોએ માઝા મૂકી છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ લેબ શરૂ થવાથી માત્ર ખોરાક જ નહીં, પણ નકલી દવાઓ વેચતા માફિયાઓ પર પણ સકંજો કસાશે. હાઈટેક મશીનરીથી સેકન્ડોમાં દૂધની શુદ્ધતા તપાસાશેઅત્યાર સુધી દૂધમાં પાણી કે યુરિયાની ભેળસેળ તપાસવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી, પરંતુ નવી લેબમાં એવી અત્યાધુનિક ટેકનોલોજી હશે જે ગણતરીની સેકન્ડોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દૂધમાં યુરિયાની હાજરી છે કે વધુ પડતું પાણી, તેનો ટેસ્ટ આ લેબમાં ત્વરિત પ્રાપ્ત થશે. જેનાથી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વોને પકડવા સરળ બનશે. નકલી દવાઓ અને સીરપ પર તવાઈસુરત અને આસપાસના જિલ્લાઓમાં માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, પરંતુ દવાઓમાં પણ ભેળસેળના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી દવાઓ અને કફ સીરપ બજારમાં વેચાઈ રહી છે. આ હાઈટેક લેબમાં ડ્રગ્સના ટેસ્ટિંગ માટે ખાસ સાધનો વસાવવામાં આવશે. જો કોઈ દવા ડુપ્લીકેટ હશે અથવા તેમાં નિયત માત્રા કરતા અલગ તત્વો હશે, તો તેનું સચોટ રિપોર્ટિંગ અહીં થશે. 14 દિવસમાં ફાઈનલ રિપોર્ટરાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે સુરતમાં જગ્યા ફાળવી દીધી છે અને બજેટમાં 50 કરોડની જોગવાઈ પણ કરી છે. આ લેબ માત્ર સુરત શહેર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોન માટે આશીર્વાદરૂપ બનશે. અહીં ખોરાક અને દવાઓના ટેસ્ટિંગ માટે 14 દિવસની અંદર તમામ રિપોર્ટ આપી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી ઘણા સેમ્પલ વડોદરા કે અન્ય જગ્યાએ મોકલવા પડતા હતા, હવે અહીં જ નિકાલ આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોબાઈલ લેબ સાથે સંકલનહાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ફૂડ લેબ ચલાવવામાં આવે છે, સાથે જ 32 જેટલી મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત છે. જોકે, આ મોબાઈલ લેબમાં મર્યાદિત ટેસ્ટિંગ જ શક્ય હોય છે. નવી બનનારી સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરી આ તમામ વ્યવસ્થાને બેકઅપ પૂરું પાડશે. જ્યારે મોબાઈલ વાનમાં કોઈ શંકાસ્પદ સેમ્પલ જણાશે, ત્યારે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે તેને આ હાઈટેક લેબમાં મોકલવામાં આવશે. લેબ ક્વોલિટી અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર વિશેષ ભારઆ લેબની સૌથી મોટી વિશેષતા તેની 'ક્વોલિટી' હશે. અહીં વસાવવામાં આવનારા સાધનો આંતરરાષ્ટ્રીય સ્તરના હશે, જેથી તેના રિપોર્ટ કોર્ટમાં પણ મજબૂત પુરાવા તરીકે ટકી શકે. મંત્રી પાનસુરીયાએ ઉમેર્યું કે, ફૂડ અને ડ્રગ્સના વિવિધ પેરામીટર્સ તપાસવા માટે નિષ્ણાતોની ટીમ તહેનાત રહેશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતને મિલાવટમુક્ત બનાવવાનો છે અને આ 50 કરોડની લેબ તે દિશામાં સુરક્ષા કવચ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:53 am

હિંમતનગર A ડિવિઝન PIને અનોખી વિદાય:ફૂલડાં વરસાવી ઘોડા પર સવાર કરી ડીજે સાથે વરઘોડો નીકળ્યો

હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એમ. ચૌધરીની બદલી થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી. પોલીસકર્મીઓએ ફૂલડાં વરસાવી, ઘોડા પર સવાર કરાવી અને ડીજે સાથે વરઘોડો કાઢી તેમને વિદાય આપી. PI પી.એમ. ચૌધરીની સુરત ખાતે બદલી થતાં તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ સ્ટેશન પરિવારે તેમના માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. વિદાય સમારંભ કાર્યક્રમ બાદ, PI ચૌધરીએ પાઘડી ધારણ કરી ઓફિસમાંથી બહાર આવ્યા હતા. આ સમયે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમના પર સુગંધિત ફૂલડાં વરસાવ્યા હતા. ત્યારબાદ તેમને ઘોડા પર બેસાડી, ડીજેના તાલે પોલીસ લાઈનમાં વિદાય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ PI ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે, પોલીસ સ્ટેશન પરિસરમાં સૌએ સાથે ભોજન લીધું હતું અને ફરજની યાદગીરી રૂપે ભેટ આપી વિદાય આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:52 am

હિંમતનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:કુબેરધામ ખાતે નિશાકાલીન લંગુરયાગ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

સમગ્ર દેશ સહિત હિંમતનગરમાં પણ હનુમાન જયંતિના પવિત્ર પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મહાવીરનગર વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા બજરંગબલીના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો, જેમાં કુબેરધામ ખાતે યજ્ઞ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના સામુહિક પાઠ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કુબેરધામ: નિશાકાલીન લંગુરયાગ અને ભવ્ય અન્નકૂટ મહાવીરનગર સ્થિત કુબેરધામ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા મંદિર: સામુહિક હનુમાન ચાલીસા અને રામધૂન બીજી તરફ, મહાવીરનગરના જ ઉમિયા મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને ગાયત્રી પરિવારના સહયોગથી ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર (શાંતિકુંજ, હરિદ્વાર) અને કાંકરોલ ગાયત્રી પ્રજ્ઞાપીઠ દ્વારા પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સાનિધ્યમાં આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, શ્રીરામ સ્તુતિ અને સમૂહ આરતી કરવામાં આવી હતી. સાથે જ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના જીવન ચરિત્ર વિશે પ્રેરણાદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓનો મહેરામણ આ બંને ધાર્મિક કાર્યક્રમોમાં હિંમતનગરના સ્થાનિક રહીશો, બાળકો, વડીલો અને મોટી સંખ્યામાં માતૃશક્તિએ ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:36 am

લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી

લીમખેડા તાલુકાના માંન્લી ગામે ગત રાત્રિએ એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મહેશભાઈ પ્રતાપભાઈ પટેલનું આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યો અને પશુઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઈનો પરિવાર રાત્રિનું ભોજન પતાવીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મકાનના એક ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મકાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે ઘરના આંગણે બાંધેલા પશુઓને પણ સમયસર છોડી દેતા તેમનો જીવ બચી ગયો હતો. મહેશભાઈનું મકાન કાચું અને લાકડાનું બનેલું હોવાથી તેમજ રાત્રિના સમયે પવનનું જોર વધુ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક માંન્લી ગામે પહોંચી હતી. ઇમરજન્સી સેવા 108 અને લીમખેડા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લાકડાનું મકાન સંપૂર્ણપણે બળી ગયું હતું. ફાયર વિભાગે આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ અગ્નિકાંડમાં મહેશભાઈ પટેલના મકાનમાં રહેલું અનાજ, જીવનજરૂરી સામાન અને રોકડ રકમ સહિતની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં, આ આગે પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:35 am

સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી:ભક્તોએ કેક કાપી, પ્રસાદ વહેંચી પવનપુત્રનો જન્મદિવસ ઉજવ્યો

સુરેન્દ્રનગર શહેરમાં બજરંગબલી હનુમાન દાદાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા બળીયા હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિરે ડીજે સાઉન્ડ અને નાશિક ઢોલના તાલે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની પરંપરા મુજબ, રાજાભાઈ સર્વોદય શોરૂમવાળા દ્વારા કેક કાપીને ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંઠીયા, સેવ-બુંદી અને મોહનથાળ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમેશભાઈ જીવણી (માં આશાપુરા ઇલેક્ટ્રિકવાળા) પણ કેક કાપવાના કાર્યક્રમમાં જોડાયા હતા. પરી એનિમેશનવાળા પરેશભાઈ અને હિતેશભાઈ સહિતના આગેવાનો તથા વેપારી મિત્રોના સહયોગથી આ ભગીરથ સેવા કાર્ય સંપન્ન થયું હતું. દાદાના ભાવિક ભક્તોએ પ્રાર્થના કરી હતી કે દાદાની કૃપાથી દર વર્ષે આવા જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું રહે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:27 am

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આશરે 5:30 વાગ્યે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથેના વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટ સુધી પડેલા મુશળધાર વરસાદને કારણે શહેર અને ગામડાંના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સવારે બહાર નીકળેલા લોકો અને વાહનચાલકોને થોડા સમય માટે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ કમોસમી વરસાદની ખેડૂતો પર મિશ્ર અસર જોવા મળી શકે છે. એક તરફ ગરમીથી રાહત મળતા કેટલાક પાકને ફાયદો થઈ શકે છે, જ્યારે બીજી તરફ અચાનક પડેલા ભારે વરસાદથી અમુક પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:22 am

અર્થશાસ્ત્રના પ્રશ્નના વિવાદ મામલે હાઇકોર્ટે GPSCને બરાબરની ઝાટકી:'તમારા ચેરમેન-સેક્રેટરી પોતાને કોર્ટની ઉપર માને છે, વારંવાર કહેવા છતાં કેમ સોગંદનામું કરતા નથી?'

GPSC દ્વારા આયોજીત પરીક્ષાના પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલા એક કેસની સુનવણીમાં કોર્ટે GPSCની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટ અગાઉ GPSCના પેપર સેટર્સ ઉપર સવાલો ઉઠાવી ચૂકી છે. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે?કોર્ટે GPSCના વકીલને કહ્યું હતું કે તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે? તમારા સેક્રેટરી આ કોર્ટનું સીટીંગ પુરું થવાની રાહ જોઇ રહ્યા છે? તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાં શા માટે સોગંદનામું કરતા નથી? શું તેઓ રોસ્ટર બદલાવવાની રાહ જોઈ રહ્યા છે? શા માટે તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે? નોંધપાત્ર છે કે અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો આ મામલો છે અને એમાં હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાંય GPSC યોગ્ય જવાબ આપી રહ્યું નથી. તેથી અગાઉ તો હાઇકોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાં 20મી માર્ચના આદેશમાં હાઇકોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું. હાઇકોર્ટે 16 અને 20 માર્ચના રોજ કરેલા આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું અને તેથી હાઈકોર્ટે ફરી એકવાર ભારે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એક તબક્કે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો દાવો કરે છે. તે વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાંય આ બધાની જવાબદારી લેવા તૈયાર નથી. તે ફક્ત પોતાને પરીક્ષાના વ્યવસ્થાપક તરીકે જણાવીને સત્તાઓ ભોગી રહ્યું છે, પરંતુ જવાબદારી પેપર સેટરના માથે નાખી રહ્યું છે. કોર્ટે અગાઉના આદેશ કરીને તમને પુરતી તક આપી છે, પરંતુ તેમ છતાંય તેનું વલણ માત્ર અને માત્ર અહંકાર ભર્યું છે. હવે આ કેસની વધુ સુનાવણી 07 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. જેમાં ગવર્મેન્ટ પ્લીડર GPSC વતી જવાબ રજૂ કરે તેવી શક્યતાઓ છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSCને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915 માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે GPSCના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. એક માર્ક માટે રહી ગયેલી ઉમેદવારે આન્સર કી હાઇકોર્ટમાં પડકારી એક ઉમેદવાર જે ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે લાયક ઠરવામાં માત્ર એક ગુણ માટે પાછળ રહી ગઈ હતી, તેણે GPSCની સત્તાવાર આન્સર-કીને પડકારી હતી. તેણીએ દલીલ કરી હતી કે આન્સર-કીમાં આપવામાં આવેલો જવાબ ખોટો હતો. જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો આપવામાં આવેલા વિકલ્પો આ મુજબ હતા. A:માત્ર એક, B:માત્ર બે, C:એક અને બે બંને અને D:ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે 'C' પસંદ કર્યો હતો, પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો. ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC આ વાત સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915 માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે GPSC ને તે પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેમણે પ્રશ્ન તૈયાર કરવા માટે આ મૂળ લખાણ પર ભરોસો કર્યો હતો, ખાસ કરીને જ્યારે GPSC નો જવાબ તે શાળાના પાઠ્યપુસ્તકો સાથે મેળ ખાતો ન હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે. GPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળGPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી. જો કે GPSC એ જણાવ્યું કે તે PDF ના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSC ની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો. કોઈ મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા કોર્ટે GPSC એ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ભૌતિક નકલ ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી ? જો આવી પ્રથા માન્ય હોય, તો એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:21 am

સેવન્થ ડેના સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન:રાજ્ય સરકારે જામીન અરજીનો સખત વિરોધ કર્યો, મૃતક પણ આરોપી કિશોરને હેરાન કરતો હોવાનો રિપોર્ટ

અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. વળી હત્યાની ઘટના પહેલા મૃતક કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને હેરાન કરતો હતો. હત્યાની ઘટના બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સેવન્થ ડે સ્કૂલે કાઢી મૂક્યો છે, તે ગુસ્સા વાળા સ્વભાવનો છે. 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યાઆ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલુ થઈ ગઈ છે. ચાર્જશીટમાં કુલ 55 સાક્ષી છે, જે પૈકી 17 જેટલા સાક્ષીને ચકાસવામાં આવ્યા છે. પ્રોબેશન ઓફિસરે હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતક સગીરની માતાના વકીલે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને વિગતવાર ટાંકીને સમજાવ્યું હતું કે તેનો હેતુ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકમાં સુધાર લાવવાનો અને તેનું પુનર્વસન કરવાનો છે. કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોતે સ્કૂલે જતું બાળક છે અને કેસ ચાલવામાં સમય લાગશે તે બાબતને ધ્યાનમાં રાખીને, કિશોરને તેના પિતા દ્વારા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવે છે. શું હતી ઘટના? ​​​​​​​અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:06 am

અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે:ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા બે ફોર્મ ભરવાના રહેશે, છેલ્લી ત્રણ ચૂંટણી લડ્યાની માહિતી ભરવી પડશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે3 એપ્રિલ ગુરૂવારના રોજ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષકો ઉમેદવારી નોંધાવવા આવતા દાવેદારોને સાંભળશે, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે જે ફોર્મ ભરાવવામાં આવે છે તેમાં દાવેદારીના ફોર્મ ઉપરાંત એક અન્ય ફોર્મ પણ ભરાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીની માહિતી ભરવાની છે જેમાં કયા વર્ષમાં ચૂંટણી લડ્યા છે. તેમાં હાર થઈ કે જીત થઈ તેની વિગતો ભરવાની રહેશે. અગાઉ કોઈ પદ મેળવી ચૂક્યા છે કે તેની પણ વિગતો આપવાની રહેશે. આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશેઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં ભાજપની સેન્ટ્રલ ઈલેકશન કમિટી (CEC)ની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ લડી ચૂકેલા કોર્પોરેટરોને રિપિટ નહીં કરવા પાર્ટીએ મન બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:00 am

ટીબી મુક્ત પંચાયત‎ અભિયાન:ભચાઉમાં ટીબી ફ્રી પંચાયતોના સરપંચો સન્માનાયા

વિશ્વ ક્ષય દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ, સીએચસી ભચાઉ તથા મેરા યુવા ભારત ભુજના સંયુક્ત ઉપક્રમે ભચાઉ સીએચસી ખાતે જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયું હતું. કાર્યક્રમમાં ક્ષયરોગ અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓમાં કામગીરી બદલ કર્મીઓને સન્માન કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ટીબી ફ્રી પંચાયત તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર 7 પંચાયતોના સરપંચોને તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોહિત અને સીએચસી ભચાઉના સુપ્રિટેન્ડેટ ડો.કુમારના હાથે ઈનામ આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, વર્ષ દરમિયાન ટીબી શોધમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા મેડિકલ ઓફિસર ડો. નિખિલેશ પટેલ (એમડી ,વાગડ હોસ્પિટલ), ડો. દુર્ગેશ પટેલ, ડો. અભિષેક ઠક્કર (આરોગ્યમ) ને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. જિલ્લા ટીબી અધિકારી દ્વારા રાજ્ય સ્તરીય કાર્યક્રમને ઉપસ્થિતિઓએ ઓનલાઇન સાંભળ્યો હતો. સાથે જ વિભાગના વિવિધ કેડરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પાર્થ પટેલ અને કુલદીપસિંહ, હિતેશ ટાંક, પ્રિયંકાબેન, ભાવનાબેન, ઝહીરભાઈ, પ્રદીપભાઈ તેમક અનિલભાઈ ચાવડાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તબીબો દ્વારા ક્ષય રોગ સામેની લડતમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ સમયસર નિદાન, જાગૃતિ અને જનભાગીદારી અંગે પણ જાણકારી આપી હતી, ટીબીથી પીડાતા દર્દીઓને રાશન કીટનું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવાવા નિલેશભાઈ, દિશાબેન સુથાર, પટેલભાઈએ સહયોગ આપ્યો હતો, તેમજ આભારવિધિ નિલેશભાઈએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:58 am

ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીની માંગ:પીએમને પત્ર લખી કચ્છની ધરતી પરત મેળવવા માટે ફરી રજૂઆત

ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા સંઘર્ષની યાદમાં ઉજવાતા 61મા શૌર્ય દિવસને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ ત્યારે ભુજમાંથી કચ્છની સરહદી ધરતીનો મુદ્દો ફરી રાષ્ટ્રીય પટલ પર લાવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છ સત્યાગ્રહ મંડળ 1968ના પ્રમુખ કે.વી. ભાવસારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કચ્છની આશરે 300 ચો.કિ.મી. જમીન પરત મેળવવા દૃઢ કાર્યવાહી કરવાની વિનંતી સાથે રજૂઆત કરી છે. ભાવસારેએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, જેમ ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીથી દેશની નારીઓને ન્યાય મળ્યો છે, તેમ 60 વર્ષથી ચર્ચાસ્પદ કચ્છની સરહદી જમીન મુદ્દે પણ કેન્દ્ર સરકાર કડક પગલાં ભરે તેવી અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું કે 30 જુલાઈ 2025માં લોકસભામાં થયેલી મૌખિક ચર્ચા દરમિયાન વડાપ્રધાન દ્વારા 1965ની મધ્યસ્થીના પરિણામે છાડબેટ ગુમાવવો પડ્યો હતો અને કચ્છ જિલ્લાના લગભગ 300 ચો.કિ.મી. જમીન અંગે સંસદમાં મુદ્દો ઉઠાવાયો હોય તેવો આ પ્રથમ સંભવિત પ્રસંગ ગણાય છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, આ ઐતિહાસિક અને સંવેદનશીલ જમીન મુદ્દે વર્ષોથી સ્પષ્ટતા અને કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ છે. પાકિસ્તાન સાથેની નીતિ અંગે પણ તેમણે કડક અભિપ્રાય વ્યક્ત કરી જણાવ્યું કે પાકિસ્તાન માત્ર કડક પ્રતિસાદની ભાષા જ સમજી શકે છે. 61મા શૌર્ય દિવસ પૂર્વે, એટલે કે 9 એપ્રિલ સુધીમાં, કચ્છ જિલ્લાની જમીન પરત મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:55 am

PGVCLની સરાહનીય કામગીરી:પૂર્વ કચ્છના 38 ગામોએ વીજબીલમાં નોંધાવ્યો ‘ઝીરો પેન્ડન્સી’નો વિક્રમ

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ભચાઉ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી વીજ બિલોની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લાના 38 ગામોએ ઉત્તમ આર્થિક શિસ્ત અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા 31 માર્ચના રોજ આ ગામોના તમામ ગ્રાહકોએ પોતાનું 100 ટકા વીજ બિલ ભર્યું છે અને ‘ઝીરો પેન્ડન્સી’નો રેકોર્ડ નોંધાવ્યો છે. PGVCL દ્વારા જાન્યુઆરી મહિનાથી તાલુકા સ્તરે ટીમો બનાવી બાકી લેણાંની વસૂલાત માટે કામગીરી શરૂ કરાઈ હતી. તંત્રની આ કામગીરીને ગ્રામ્યજનતાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સ્વયં આગળ આવી બાકી બિલો ચૂકવ્યા હતા. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની જાગૃતિ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. PGVCL તંત્રએ આ કામગીરી બદલ તમામ ગામોના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. સમયસર વીજ બિલ ચુકવવાથી વીજ પુરવઠાની સુવિધામાં સુધારો અને નેટવર્કના વિકાસ માટે પણ મદદરૂપ બનશે. 100% વીજ બિલ ચુકવનારા ગામનાભચાઉ પંથકના ચોબારી, નેર, અમરસર, લાખાવટ, દેશલપર, અને ફતેપર, મેઘપર, બંધડી, બનીયારી, સુખપર, ભુજપર, કુંજીસર, પાંકડસર , નીલપર ગામએ સો ટકા સિદ્ધિ મેળવી છે. જયારે રાપર પંથકના સોનાલવા, છાપેડા વાંઢ, પાલનપર, ઝંગરા, બાલાસરી ગામોનો સમાવેશ થાય છે. બાલાસર પેટા વિભાગીયમાં લાલા હિરાણી વાંઢ, ફાફડા વાંઢ, શંભુ વાંઢ, ખોરોડી વાંઢ, પગી વાંઢ સારણ વાંઢ જયારે સામખીયાળી પેટા વિભાગીયમાં ભાસવાણ, ગોડપર, ખોડાસર, લાખાપર, લગધીરગઢ, ચાંદ્રોડી. તો ભીમાસર પેટા વિભાગીયમાં ફુલપર, નદિલા વાંઢ, ખેડુકા વાંઢ, ભક્તાવારી વાંઢ, કાનપર, ગામના રહિશોએ પોતાની નૈતિક ફરજ અદા કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:51 am

બુટલેગર થયો બેફામ:મંગળવારે એલસીબીની રેડમાં ફરાર થયેલો બુટલેગર ગુરૂવારે ફરી દારૂ વેચતો ઝડપાયો !

સામાન્ય રીતે પોલીસનો દરોડો પડ્યા બાદ આરોપીઓ બીકને કારણે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. પરંતુ પશ્ચિમ કચ્છમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે,બે દિવસ પહેલા એલસીબીએ દરશડીમાં દરોડો પાડી રૂપિયા 12.75 લાખનો દારૂ પકડ્યો ત્યારે ભાગી ગયેલો બુટલેગર જાણે પોલીસની કોઈ બીક ન હોય તેમ એકટીવા પર દારૂ વેચવા નીકળ્યો હતો જેને સ્થાનિક પોલીસે રૂપિયા 25 હજારની કિંમતના દારૂ અને બીયર સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા દરશડીથી બિલેશ્વર જતા રોડ પર સાકરીયા પીરની દરગાહ પાસે પોતાની કબ્જાની એકટીવામાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેની પાસેથી રૂપિયા 25 હજારની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,એલસીબીએ મંગળવારે દરશડીમાં દરોડો પડ્યો ત્યારે રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. એ દરમિયાન આરોપી ભાવસંગજી પોલીસને હાથ લાગ્યો ન હતો. આરોપીઓ બે કારમાં રાખેલ દારૂનો જથ્થો છુપાવવા માટેની પેરવીમાં હતા અને અચાનક પોલીસ આવી જતા ભાગી છુટ્યા હતા. જોકે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીને જાણે કોઈ બીક ન રહી હોય તેમ બુધવારે એકટીવા પર દારૂનો વેચાણ કરવા નીકળતા ઝડપી લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:49 am

જાહેરાત પોકળ નીકળી:એપ્રિલમાં એક સાથે ત્રણ મહિનાનું રાશન મળવાની વાત હજુ હવામાં

સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો સામાન્ય જનતા માટે હાલાકી સર્જી શકે છે, તેનો જીવંત દાખલો એપ્રિલ મહિનાના પ્રારંભે જ જોવા મળ્યો છે. ગત 19 માર્ચના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા સત્તાવાર X (ટ્વિટર)એકાઉન્ટ પર જાહેરાત કરાઈ હતી કે એપ્રિલ, મે અને જૂનનું રાશન એકસાથે અપાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એપ્રિલ શરૂ થઇ ગયો છતાં રેશનિંગની દુકાને પહોંચતા ગરીબ લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. જાહેરાત મુજબ, લાભાર્થીઓને સુવિધા રહે તે હેતુથી ત્રણ મહિનાનો જથ્થો એકસાથે આપવાની વાત હતી. જોકે, આ જાહેરાતના અમલીકરણ માટે જરૂરી એવા ‘લેખિત આદેશ’ હજુ સુધી જિલ્લા પુરવઠા વિભાગ સુધી પહોંચ્યા જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ પુરવઠા વિભાગના કર્મચારીઓ સ્વીકારી રહ્યા છે કે તેમને પણ આ અંગેની જાણકારી માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ મળી છે ! કોઈ સત્તાવાર પરિપત્ર કે સૂચના મળી નથી. સરકારની જાહેરાત પર વિશ્વાસ મૂકીને અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છેલ્લા બે દિવસથી સસ્તા અનાજની દુકાનો પર રાશન લેવા પહોચી રહ્યા છે. જ્યારે દુકાનદારો કહી રહ્યા છે કે “અમારી પાસે કોઈ સૂચના કે જથ્થો નથી”, ત્યારે આ જનતાની સ્થિતિ દયનીય બની જાય છે. રેશનિંગના દુકાનદારો પણ મૂંઝવણમાં છે કારણ કે તેમની પાસે ન તો વધારાનો સ્ટોક છે, ન તો સરકાર તરફથી કોઈ દિશા-નિર્દેશ.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:45 am

સાયબર ઠગાઈ:માધાપરના વૃદ્ધે એપ્લીકેશન ફાઈલ ખોલતા 99 હજારની સાયબર ઠગાઈ

માધાપરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા જ રૂપિયા 99 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ ખુલી ન હતી અને અલગ અલગ 6 ટ્રાન્ઝેક્શનથી ખાતામાંથી રૂપિયા ઉપાડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માધાપરમાં રહેતા ફરિયાદી ગીરીશભાઈ દેવજીભાઈ સોનેજીએ માધાપર પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 18 માર્ચના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીને પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એપ્લીકેશન ફાઈલ આવેલી હતી.યુનિયન બેંકના લોગો જેવી ફાઈલ દેખાતા ફરિયાદીએ બેંકની વિગતો હોવાનું સમજી ફાઈલને ડાઉનલોડ કરી હતી.પરંતુ ત્યારબાદ ફાઈલ ખુલી ન હતી. જેથી ફરિયાદીએ તે સમયે વોટ્સએપમાંથી બહાર નીકળી ગયા હતા.ત્યારબાદ સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીને મોબાઈલમાં મેસેજ આવ્યા હતા જેમાં પોતાના યુનિયન બેંકના ખાતામાંથી છ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને રૂપિયા 99,990 ઉપાડી ગયા હતા. જેથી ફરિયાદી તાત્કાલિક બેંક ગયા હતા અને તપાસ કરતા ઓનલાઈન ફ્રોડ થયેલો હોવાનું સામે આવ્યું હતું.જે મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ લખાવી હતી.સમગ્ર મામલે માધાપર પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:43 am

કેડીસીસી બેન્કનો 325 લાખનો ચોખ્ખો નફો:ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી.નો કુલ બિઝનેસ રૂ. 793 કરોડને પાર પહોંચ્યો

ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી. (KDCC Bank) દ્વારા ગત નાણાંકીય વર્ષના અંતે રૂ. 325 લાખના ઐતિહાસિક ચોખ્ખા નફા સાથે કુલ બિઝનેસ રૂ. 793 કરોડે પહોંચાડવાની મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સાથે વર્ષના અંતે બેન્કનું નેટ NPA 0% રહેવા પામ્યું છે. બેન્કની કામગીરી અંગે માહિતી આપતા જણાવાયું છે કે, બેન્કની ડિપોઝીટમાં વધારો થઈને રૂ. 525.16 કરોડ થયેલ છે, જે બેન્ક પ્રત્યે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ થાપણદારોની થાપણ વિમાથી સુરક્ષિત છે અને અન્યની સરખામણીમાં ઊંચો વ્યાજદર થાપણદારોને ચૂકવવામાં આવે છે. બેન્કનો CD રેશિયો 51.09% રહેલ છે. બેન્ક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને નિયમોને આધિન NEFT, RTGS કોઈપણ ચાર્જ વગર કરી આપવામાં આવે છે. તેમજ બેન્ક દ્વારા ચાલુ વર્ષથી ડીજીટલ સેવાઓ મોબાઇલ બેન્કીંગ સાથે “UPI” ના માધ્યમ દ્વારા G-pay, PhonePay અને QR ની સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બેન્ક દ્વારા વર્ષ દરમિયાન રૂ. 268 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને પાક ધિરાણમાં રૂ. 1254 લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવતા ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ પૂરું પાડવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન અને સહકાર મંત્રીના “સહકારથી સમૃદ્ધિ” મંત્ર અંતર્ગત છેવાડાના માનવી સુધી બેન્કની સુવિધા પહોંચાડવા 25 જેટલી નવી બહુહેતુક મંડળીઓની રચના કરવામાં આવેલ છે અને 158 મંડળીઓને સરકારશ્રીની કોમ્પ્યુટરાઈઝેશન યોજનામાં જોડવામાં આવેલ છે. બેન્કના ચેરમેન દેવરાજભાઈ કે. ગઢવીએ આ ઐતિહાસિક પ્રગતિ બદલ તમામ થાપણદારો, સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો, ગ્રાહકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ, RBI, સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ બેન્કના સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણુંબેન્ક દ્વારા સરહદ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને દર માસે રૂ. 45 થી 50 કરોડનું ચુકવણું વિનામુલ્યે કરવામાં આવે છે, જે વર્ષના અંતે અંદાજીત રૂ. 500 કરોડની આજુબાજુ થાય છે. સરહદ ડેરી સાથે જોડાયેલ 34000 પશુપાલકોને તથા બેન્કના તમામ ગ્રાહકોને તેમના જ ગામમાં રોકડ નાણાં મળી રહે તે હેતુથી 520 મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. (Micro ATM) આપવામાં આવ્યા છે. જેથી પશુપાલકો અને ગ્રામજનોને ઘરબેઠા બેન્કીંગ સુવિધા મળી રહે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:42 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:સૈયદપર પાસે છોટાહાથીએ પાછળથી ટક્કર મારતા ગાંધીધામના યુવકનું મોત નીપજ્યું

ભુજથી ગાંધીધામ જતા હાઈવે પર સૈયદપર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધીધામથી ગુડથર મતિયા દેવના મેળે પગપાળા જતા ચાર યુવકોને પાછળથી આવતા છોટાહાથીએ ટક્કર મારતા એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ગાંધીધામના ફરિયાદી મનીષ ગોપાલભાઈ મહેશ્વરીએ પદ્ધર પોલીસ મથકે ટાટા મદનીયુ નંબર જીજે 12 બીટી 2615 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 1 એપ્રિલના બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો ફરિયાદી અને સનીભાઈ રાયશીભાઈ મહેશ્વરી,પ્રિન્સભાઈ મોહનભાઈ પાતળીયા અને ગરવા દીપકભાઈ પ્રવીણભાઈ પગપાળા મતિયા દેવના દર્શને જઈ રહ્યા હતા.એ દરમિયાન સૈયદપર પાટીયા પાસે પહોચ્યા ત્યારે આરોપી ચાલકે ચારેયને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચારેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ગરવા દીપક પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તેમજ ફરિયાદીને સામાન્ય ઈજાઓ પહોચી હતી જ્યારે અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર તળે રાખવામાં આવ્યા હતા.સમગ્ર મામલે પદ્ધર પોલીસે આરોપી ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માધાપર હાઈવે પર 2 બાઈક ભટકાતા એકનું મોતમાધાપર હાઈવે પર આવેલી તુલસી હોટલ સામે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાઓને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જે મામલે ગાંધીધામના ફરિયાદી પ્રીતમભાઈ ખેતશીભાઈ ચારણે માધાપર પોલીસ મથકે આરોપી બાઈક નંબર જીજે 12 એચઈ 7751 ના ચાલક સામે ગુનો નોધાવ્યો છે. માધાપરમાં રહેતા ફરિયાદીના ભાઈ ભરતભાઈ અને તેમના પત્ની બાઈક લઇને મોરારીબાપુની રામકથા સંભાળવા જતા હતા.ત્યારે આરોપી બાઈક ચાલકે ટક્કર મારતા ભરતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોચી હતી જેથી સ્થાનિકે સારવાર બાદ અમદાવાદ લઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:39 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ ઉપડ્યા !

ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહમાં યોજાવાની શક્યતા હોવાથી છેલ્લા બે અઠવાડિયાથી રાજકીય હલચલ તેજ બની ગઈ હતી, પરંતુ હવે તારીખો જાહેર થતાં જ માત્ર 25 દિવસના ટૂંકા સમયગાળામાં જીત મેળવવા માટે તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. કોંગ્રેસે બુધવારથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે, જ્યારે ભાજપે ગુરુવારે સવારથી ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે આ પ્રક્રિયા શરૂ કરી છે. માઇક્રો પ્લાનિંગ માટે ઓળખાતા ભાજપે ચૂંટણી જાહેર થાય તે પહેલાંથી જ તૈયારીઓ ગોઠવી રાખી હતી, પરંતુ હવે કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે મળીને બેઠકદીઠ જીત સુનિશ્ચિત કરવા માટે સતત બેઠકો અને આયોજન શરૂ કર્યું છે. ભુજ સ્થિત ભાજપના મુખ્ય મથક ‘કમલમ’ ખાતે સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભુજ નગરપાલિકાની 44 બેઠક માટે 225થી વધુ દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા હતા. જુના અને નવા ચહેરાઓ જોવા મળ્યા હતા. લખપત, અબડાસા, માંડવી અને ભુજ વિસ્તારમાંથી દાવેદારો ફોર્મ લેવા તેમજ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને માંડવી બેઠક માટેના દાવેદારોને બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે નિયુક્ત થયેલા પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ મંત્રી સરદારભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદી સાથે જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ દાવેદારોની વાતો ધ્યાનથી સાંભળી હતી. સાંજ સુધી આ પ્રક્રિયા સતત ચાલી રહી હતી. ટિકિટ મેળવવા માટે દાવેદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકીય ઉચ્ચ હોદ્દેદારો સુધી પહોંચવા માટે લોબિંગની પ્રક્રિયા પણ તેજ બની ગઈ છે. બીજી તરફ પૂર્વ નગરસેવકો અને પંચાયત સભ્યો ફરીથી ઉમેદવારી મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતામાં જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે સેન્સ પ્રક્રિયાને પ્રથમ પગથિયું માનવામાં આવી રહ્યું છે. અંતિમ ઉમેદવાર યાદી જાહેર થવામાં હજી સમય બાકી છે, પરંતુ આ પ્રક્રિયાએ રાજકીય ગતિવિધિઓને વધુ ગતિ આપી છે. આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી, પ્રચારની રણનીતિ અને મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો વધુ તેજ બનશે તે નિશ્ચિત છે. પરિવારમાં ત્રણ વખત ચૂંટણી લડ્યા હોય તેમને ઉમેદવારી નહીંભારતીય જનતા પાર્ટી એન્ટી ઇન્કમબસી ઉપાય શોધતી હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે જે પરિવારે ત્રણ વખત ચૂંટણી લડી હોય તેમને ટિકિટ નહીં આપે તેવું પક્ષના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. એક અર્થ એવો પણ નીકળે કે ગત ટર્મમાં જે કામગીરી થઈ હોય તે પ્રત્યેની નારાજગીનો ભોગ ન બનવું પડે તેમજ બેઠક ચોક્કસ જીત મળે તે માટેનો એક પ્રયત્ન ગણી શકાય. તો બીજી તરફ ભાજપમાં અંદરથી છાનો અસંતોષ પણ જોવા મળ્યો કે કોંગ્રેસમાંથી આવેલા નવા કાર્યકરોને તક આપવા માટે લાલ જાજમ પાથરી દીધી છે. જે હોય તે પણ નો રિપીટ થિયરી કે પરિવારમાં ત્રણ ચૂંટણી નહીં લડી શકે, આ બંને લોકોની નારાજગીથી બચવા માટેનું કારણ ગણવામાં આવે છે ભાજપની સેન્સ પ્રક્રિયા : ભુજ પાલિકાની પ્રક્રિયા આજે પણ તે પહેલા જ ફોર્મ ઉપાડમાં અભૂતપૂર્વ ઉત્સાહ

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:36 am

કેમ્પસમાં ઘૂસણખોરો પર લાગશે બ્રેક:પ્રથમવાર કોમર્સ ફેકલ્ટી 15 હજાર વિદ્યાર્થીને સ્માર્ટ આઇકાર્ડ આપશે

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 6 વર્ષ પછી આઇકાર્ડ અપાશે. પ્રથમવાર સ્માર્ટ આઇકાર્ડ કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. 15 હજાર વિદ્યાર્થીઓને આઇકાર્ડ અપાશે. એમકોમમાં સ્માર્ટ આઇકાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં લાંબા સમયથીલ કરવામાં આવતી વિદ્યાર્થીઓની આઇકાર્ડની માંગ પૂરી કરવામાં આવી છે. કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ માટે સાદા નહિ પંરતુ સ્માર્ટ આઇકાર્ડ તૈયાર કર્યા છે. જેનું વિદ્યાર્થીઓને તબક્કાવાર વિતરણ કરવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા છે જેના પગલે આઇકાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા ના હતાય કોરોના કાળ બાદ આઇકાર્ડને ડીજીટલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું અને તેની પ્રિન્ટ લઇને વિદ્યાર્થીઓ લેમિનેશન કરાવતા હતા. ઘણાં કિસ્સામાં આઇકાર્ડ ન હોવાથી અસમાજીક તત્વો ઘૂસી જતા હોવાની ફરીયાદો ઉઠી હતી. ફેકલ્ટીમાં 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે તમામને સ્માર્ટ આઇકાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ ફરજિયાત આઇકાર્ડ પહેરીને કોલેજમાં આવવાનું રહેશે. સિકયુરિટી પણ ચેકિંગ કરશે. કોમર્સ જેવા સ્માર્ટ આઇકાર્ડ બનાવવા અન્ય ફેકલ્ટીઓને વીસીની ટકોરકોમર્સ ફેકલ્ટી દ્વારા જે પ્રકારે સ્માર્ટ આઇકાર્ડ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ પણ સ્માર્ટ આઇકાર્ડ બનાવે તેવી ટકોર વીસીએ ડીનની બેઠકમાં કરી હતી. અગામી સમયમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ લાગે તેવા પ્રકારના સ્માર્ટ આઇકાર્ડ બનાવવામાં આવશે. આઈકાર્ડના અભાવે અસામાજિક તત્ત્વો કેમ્પસમાં બેરોકટોક પ્રવેશ કરતાં હતાં

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:30 am

સુમનદીપ વિદ્યાપીઠનો 13મો દીક્ષાંત સમારોહ:મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી સહિતના 831 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

સુમનદીપ વિદ્યાપીઠ ખાતે યુનિવર્સિટી ખાતે 13મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સુમનદીપ વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ અને એલાઈડ હેલથકરે અને ડી.એ.એસ.એલ.પી સહિત વિવિધ ફેકલ્ટીના કુલ 831 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ ના અધ્યક્ષ ડો. યજ્ઞા શુક્લા, અતિથિ વિશેષ તરીકે સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડો. મનસુખ શાહ, પ્રમુખ ડૉ. દિક્ષિત શાહ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ ડૉ.યજ્ઞા શુક્લાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં નૈતિકતા, કરુણા અને નવીનતા અત્યંત મહત્વપૂર્ણ છે. વાઈસ ચાન્સેલર ડૉ. રાજેશ ભારાણેએ શૈક્ષણિક વિકાસ, સંશોધન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:28 am

વડોદરામાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાયું:પાલિકાના ઉમેદવાર હવે 9 લાખ સુધી ખર્ચ કરી શકશે, આચારસંહિતા લાગુ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવતાંની સાથે જ વડોદરા સહિત રાજ્યભરમાં ‘આદર્શ આચારસંહિતા’ અમલી બની છે. આ જાહેરાત સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે 5 નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 4 મામલતદાર અને 2 સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. આચાર સંહિતાના કડક નિયમો, શું થાય અને શું નહીં? ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખ્યું તો ગુનો બનશેમતદાનના દિવસે (26 એપ્રિલ) મતદારોને આપવાાં આવતી ઓળખ સ્લીપ માત્ર સફેદ કાગળ પર હોવી જોઈએ. આ ઓળખ સ્લિપ પર જે તે ઉમેદવારનું નામ, તેના પક્ષનું નામ કે ચિહ્ન દર્શાવી શકાશે નહીં. જો ઓળખ સ્લિપમાં ચિહ્ન રાખવામાં આવશે તો ગુનો બનશે. આ ઉપરાંત જે તે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઇ પણ પ્રકારના મંડપ બાંધવા પર પણ પ્રતિબંધ રહેશે. આચાર સંહિતાના ભંગ બદલ શહેરના ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરી શકાશે

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:27 am

‘સ્ટિલ સ્ટોરીઝ’ નામે વૈશાલી જાડાવાલાના ફોટોનું પ્રદર્શન:માળાની હૂંફ-પ્રકૃતિના ખોળે રમતાં પારેવાં, વારસાના ભવ્ય રંગો ક્લિકમાં કેદ કરાયા

ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ ‘સ્ટિલ સ્ટોરીઝ’ નામનું સોલો પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ફોટોગ્રાફર વૈશાલી જાડાવાલાએ પોતાના અનોખા દ્રષ્ટિકોણથી જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુવારે સાંજે 5 વાગ્યે થયું હતું, જે 5 એપ્રિલ સુધી બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે.આ પ્રદર્શનનું આયોજન અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. વૈશાલી જાડાવાલાએ પોતાના કેમેરામાં મોર, વિવિધ પક્ષીઓ તેમજ માનવીય લાગણીઓ દર્શાવતા ક્ષણોને સુંદર રીતે કેદ કર્યા છે. ખાસ કરીને સૂર્યાસ્તના દ્રશ્યો, પ્રકૃતિના રંગો અને માનવીના અભિવ્યક્તિપૂર્ણ પળો પ્રદર્શનને વિશેષ બનાવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:24 am

ઉમેદવારોનો રાફડો ફાટ્યો:વાઘોડિયા, કરજણ, પાદરા, વડોદરા તાલુકામાં સેન્સમાં 550થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જિલ્લા ભાજપે વંદે કમલમ અને કરજણ એપીએમસીમાં અંતિમ સેન્સ પ્રક્રિયા કરી હતી. વાઘોડિયા, પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં 550થી વધુએ દાવેદારી નોંધાવી હતી. મોડી રાત સુધી પ્રક્રિયા ચાલી હતી. 1 એપ્રિલના રોજ બે જૂથમાં કરાયેલી સેન્સ પ્રક્રિયામાં સાવલી, ડેસર, ડભોઈ તાલુકા અને શિનોરની બેઠકો માટે 500થી વધુએ દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે, વંદે કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો પોતાના બાયોડેટા લઈને પહોચ્યાં હતાં. જ્યારે રાતે 9 વાગ્યા બાદ પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સેન્સ લેવાની પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ 3 પેનલ બનાવીને દાવેદારોના નામ પ્રદેશમાં મોકલી આપશે. ત્યારબાદ પ્રદેશ દ્વારા બેઠક મુજબ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ થઈ જશે. ભાસ્કર ઇનસાઇડ: વડુ પંચાયતના કોંગ્રેસના પૂર્વ સભ્યે સોશિયલ મીડિયામાં હિસાબો આપ્યાવડુ બેઠકના ગત ટર્મના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારે લોકો સમક્ષ સોશિયલ મીડિયામાં લાઈવ આવીને 10 વર્ષમાં કરેલા કાર્યોના હિસાબ આપ્યાં હતાં. જિલ્લા પંચાયતની વડું બેઠક આ વખતે મહિલા અનામત છે. જેથી અર્જુનસિંહ પઢીયાર ચૂંટણી નહીં લડી શકે. તેમણે જણાવ્યું કે, મારા બદલે મારા પત્ની ચૂંટણી લડશે. હિસાબ આપ્યા બાદ દરેકને કેલેન્ડર પણ આપવાનું આયોજન છે. સેન્સ પ્રક્રિયામાં રાત્રે 9 વાગ્યા સુધી 550 લોકોએ દાવેદારી કરી

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:21 am

સેન્સની પ્રક્રિયા વચ્ચે સાથી કાઉન્સિલરની પ્રતિક્રિયા:અનુભવ ઓછો હોવાથી મેયર વિવાદમાં રહ્યાં હતાંઃ રાખી શાહ

શહેરના વોર્ડ 4માંથી ભાજપમાંથી પહેલીવાર ચૂંટાઈને આવેલાં કાઉન્સિલર પિન્કીબેન સોની બીજી ટર્મમાં મેયર બન્યાં હતાં. જોકે તેઓ બિન અનુભવી હોવાથી અને કોઈ ગાઈડ-લાઈન ન મળી હોવાથી વિવાદમાં રહ્યાં હોવાનો બળાપો તેમના જ સાથી કાઉન્સિલરે ઠાલવ્યો છે. કાઉન્સિલર રાખી શાહે મેયરની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવતાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. જેમાં વોર્ડ 4નાં કાઉન્સિલર રાખીબેન શાહ ખોડિયારનગર ખાતે પ્રદેશથી આવેલી નિરીક્ષકોની ટીમને સેન્સ આપવા પહોંચ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મેયર પહેલી વખતનાં કાઉન્સિલર હતાં એટલે બધું કમ્પલિટલી ટેકલ ન કરી શક્યાં. તેમને કોઈ ગાઈડ-લાઈન પણ ન મળી, જેથી તેઓ વિવાદમાં રહ્યાં છે. નિખાલસ ભાવે મેયરની સ્થિતિ અંગે કરેલી સ્પષ્ટતાને કારણે તેઓનું નિવેદન શહેરભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. જોકે તેઓએ સાથી કાઉન્સિલર તરીકે મેયર પિન્કીબેન સોનીએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમ કહી બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, નો રિપીટ થીયરી આવે તો તેમના પતિ મનોજ શાહ દાવેદાર રહેશે. મહત્વનું છે કે, પાલિકાની સામાન્ય સભામાં લીધેલા નિર્ણય અથવા બજેટની બેઠક દરમિયાન વિપક્ષને સસ્પેન્ડ કરવાની બાબત હોય, મેયરની ભૂમિકા મોટેભાગે શહેરભરમાં ચર્ચાનું કારણ બની હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:19 am

ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા પહેલ:ઉદ્યોગો માટે મોરેશિયસ હવે ગેટવે આફ્રિકા-યુરોપનાં બજારો ખૂલશે

ભારત 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્ય તરફ વધી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાતની પહેલથી ગુજરાતી ઉદ્યોગકારો માટે મોરેશિયસ ‘એન્ટ્રી પોઈન્ટ’ બનવા જઈ રહ્યું છે. મોરેશિયસ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ સાથે બેઠકમાં ફિનટેક, લોજિસ્ટિક્સ, ફાર્મા અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકારના દ્વાર ખુલ્યા છે. મોરેશિયસ પાસે 10થી વધુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, જેના કારણે વિશ્વની 70% વસ્તી ધરાવતા બજારો સુધી ગુજરાતી માલ-સામાન સરળતાથી પહોંચી શકશે. ‘મોરેશિયસ ફ્રીપોર્ટ’નો ઉપયોગ કરીને ઉદ્યોગસાહસિકો માત્ર 3% કોર્પોરેટ ટેક્સ ભરીને આફ્રિકા અને યુરોપમાં નિકાસ કરી શકશે. 54 દેશો સાથે થયેલા ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટને કારણે બેવડો ટેક્સ ભરવો પડશે નહીં. ગુજરાતી ઉદ્યોગકારો માટે નવું સીમા ચિહ્ન બનશેગુજરાતી ઉદ્યોગ જગત માટે આ માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક બનવાની વ્યૂહરચના છે. મોરેશિયસ દ્વારા આપણે આફ્રિકાના ઝડપથી વિકસતા બજારોમાં મજબૂત સ્થાન જમાવી શકીશું. > વિરલ ચૌધરી, અધ્યક્ષ, ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાત

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:18 am

વેંકટેશ બાલાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો:વેંકટેશ બાલાજીનો અભિષેક થયો,સુંદરકાંડના પાઠ યોજાયા

રાવપુરાના વેંકટેશ બાલાજી મંદિરે હનુમાન જયંતિએ ભવ્ય ઉજવણી કરાઇ હતી. હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવાર, 2 એપ્રિલના રોજ વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે ભગવાન હનુમાનજીનો વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યાથી સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ​મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન જુબિલી બાગ સામે આવેલ આ ઐતિહાસિક મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ શણગાર અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી દર્શનમાં કોઈ અગવડ ન પડે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભીડ જોવા મળી હતી અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:13 am

ભાસ્કર એનાલિસિસ‎:ભાજપના ગઢ સમાન 5 વોર્ડમાં 90થી વધારે ટિકિટવાંચ્છુઓ, રસાકસીની વધુ શક્યતાવાળા વોર્ડ 15-16માં દાવેદાર ઓછા

પાલિકાની ચૂંટણી માટે ભાજપની 2 દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં 19 વોર્ડની 76 બેઠક માટે 1434 કાર્યકરે દાવેદારી કરી છે. ગત ચૂંટણી કરતાં આ વર્ષે 21 દાવેદાર ઓછા છે. ચોંકાવનારી બાબત એ છે કે, કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ 16માં અન્ય વોર્ડ કરતાં સૌથી ઓછા 41 દાવેદાર છે. જ્યારે વોર્ડ 13માં 60 અને વોર્ડ 1માં 69 દાવેદાર છે. જોકે ભાજપમાંથી સસ્પેન્ડેડ અને કોંગ્રેસમાં જોડાયેલા કાઉન્સિલર આશિષ જોષીના વોર્ડમાં 41 દાવેદાર છે. બીજી તરફ વોર્ડ 12 સૌથી વધુ 103, વોર્ડ 17 અને વોર્ડ 18માં 101 દાવેદારો છે. વોર્ડ 15માં ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાતાં ટક્કર થશે, ઓછી દાવેદારીથી ચિંતા 19 વોર્ડમાંથી મહિલા અને પુરુષની દાવેદારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ: હવે સંકલન સમિતિ નામ મૂકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે ભાજપ : સંકલન સમિતિ નામ મૂકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે કોંગ્રેસ : ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા આમ આદમી પાર્ટી : પહેલી યાદી જાહેર કરાઈ, બે દિવસમાં બીજી યાદી જાહેર કરાશે

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:12 am

વીજળી ડૂલ થતાં 20 હજાર લોકો પરેશાન:દશરથમાં થાંભલામાં પક્ષી અથડાતાં વાયર તૂટ્યો,અઢી કલાક વીજળી ડૂલ

દશરથના ઔદ્યોગિક ક્ષેત્ર બ્રૂક ફીલ્ડ્સ પાસે એક વીજ થાંભલા પર મોટું પક્ષી અથડાતાં વાયર તૂટી ગયો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જેને પરિણામે અઢી કલાક સુધી આ વિસ્તારના 20 હજાર જેટલા રહીશોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ ઘટના સાંજે 5 વાગ્યાના સુમારે બની હતી. જોકે એમજીવીસીએલે 3 ટીમોને કામગીરી સોંપતાં અઢી કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. અચાનક જ વીજ પુરવઠો ખોરવાઇ જતાં ગરમીને લીધે રહીશો હેરાન થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અમે છાણી સ્થિત કચેરીના નંબર 99789 35594 પર સંખ્યાબંધ કોલ કર્યા, પણ કોઇ ફોન કેટલાય સમય સુધી ઉપાડતું ન હતું. છેવટે 7-30 વાગ્યાના સુમારે વીજ પુરવઠો પૂર્વવત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાયર તૂટતાં 3 જમ્પર અને સેફ્ટી સ્વિચ પણ બળી જતાં સ્થિતિ કથળીવાયર તૂટવાને લીધે એમજીવીસીએલના 3 જમ્પર અને 1 સબ સ્ટેશન પાસેની સેફ્ટી સ્વિચમાં આગ લાગતાં બળી ગઇ હતી. એક સાથે આટલા મોટા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં એમજીવીસીએલે 8 સભ્યોની 3 ટીમ બનાવી કામગીરી શરૂ કરી હતી. બેંકના એટીએમમાં નાણાં ભરવા માટે આવેલી ટીમ 1 કલાક બેસી રહીદશરથ સ્ટેશન પાસે નેશનલાઇઝ બેંકના એટીએમમાં નાણાં ખલાસ થવાથી રૂપિયા સાથે એક વાન આવી હતી. જોકે અચાનક લાઇટો ડૂલ થતાં કામ શરૂ થઇ શક્યું નહોતું. તેમણે 1 કલાક રાહ જોવી પડી હતી. એ ટીમ રોકાઇ કે જતી રહી તે જાણવા મળ્યું ન હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:07 am

મુસાફરીને આરામદાયક બનાવવા રેલવેની કવાયત:ટ્રેનોમાં એસી જ નહીં, જનરલ કોચની સફાઇ પણ નિયમિત થશે,એટેન્ડન્ટને હવે રિપેરિંગ કરવું પડશે

ટ્રેનમાં મુસાફરોને યાત્રાનો સારો અનુભવ મળે તે માટે રેલવેએ નોંધપાત્ર સુધારા કરવા કવાયત હાથ ધરી છે. હવે માત્ર એસી ટ્રેનના કોચ જ સુઘડ નહીં હોય, જનરલ ડબામાં પણ નિયમિત સફાઇ કરાશે. એટેન્ડન્ટ એસી કોચમાં ચાદર-તકિયાની કામગીરી સુધી મર્યાદિત નહીં રહે, હવે કોચમાં નાનો ફોલ્ટ સર્જાય તો રિપેરિંગ કરવું પડશે. આગ જેવી ઘટનામાં તેની જવાબદારી વધશે. ઉપરાંત યાત્રીઓને તકલીફ પડે તો પહેલી મદદ તેની હશે. રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક મહિનાથી રેલ મદદથી ડેટા વિશ્લેષણ કરાતું હતું. તેમાં મુસાફરોને કોચમાં સફાઇ મુદ્દે અસંતોષ વધુ હોવાનું જણાતાં નવા નિયમો લાગુ પાડવાની પહેલ કરી છે. પ્રારંભિક તબક્કે 85 ટ્રેનોમાં તેને લાગુ પડાશે. ટ્રેન કોચમાં દર બે કલાકે સફાઇ કરાશે. જોકે રેલવે આ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપશે. જેમાં એજન્સીની પસંદગી માટે પણ આ જ બાબતો પર વધુ ભાર મૂકાશે. અગાઉ ધો.10 પાસ ઉમેદવારો આ કામગીરી માટે મૂકાતા હતા, હવે ધો.12 પાસ અને આઇટીઆઇનો ક્રાઇટેરિયા રખાયો છે. ટ્રેનમાં કામગીરી કરતા કર્મી મુસાફરોને સામેથી ટ્રેનમાં અપાતી સેવા વિશે પૃચ્છા કરશે અને તેમનું વર્તન સહાનુભૂતિ પૂર્ણ હશે. આ માટે તેમને તાલીમ પણ અપાઈ રહી છે. જ્યારે ફીડબેક એનાલિસીસમાં ટ્રેનમાં મુસાફરો પાણીની ઉપલબ્ધિ, કોચની સફાઇ, બેડરોલ સર્વિસ, સ્ટાફની વર્તણૂક અને ઇલેક્ટ્રિકલ ફોલ્ટના મુદ્દે સૌથી વધુ ફરિયાદો કરે છે. વડોદરા ડિવિઝનમાં ઉકેલ ઝડપી બન્યો

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:06 am

'કોર્પોરેટરોને તો ઓળખતા જ નથી':સુરતના વોર્ડ-1માં વિકાસના નામે ખાલી વાયદા, ઠેર-ઠેર કચરાના ઢગલાઓથી ત્રાસેલા સ્થાનિકોએ કહ્યું-'ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે'

મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સુરત શહેરના વોર્ડ નંબર 1 એટલે કે જહાંગીરપુરા, વરિયાવ, છાપરાભાઠા અને કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વોર્ડ નંબર 1માં પહોંચી હતી. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ છે તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા હતા. વોર્ડ નંબર એકની અંદર ઠેર ઠેર કચરાના ઢગલાઓ અને સરકારી સ્કૂલ ન હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો.છાપરાભાઠા અને વરીયાવ વચ્ચેથી પસાર થતી ખાડી પણ ગંદકી ખદબત્તી હોવાનું પણ જોવા મળ્યું હતું. એટલું જ નહીં કોસાડ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષાઓ પર સવાલો જનતાએ ઉઠાવ્યા. આ સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટર દેખાયા ન દેખાયો હોવાનો જનતાએ રોષ ઠાલવી કહ્યું કે અમે અમારા વોર્ડના કોર્પોરેટરોને તો ઓળખતા જ નથી. જ્યારે રેસીડેન્શિયલ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો કોર્પોરેટરોની મહેરબાનીથી આપવામાં આવતી હોવાનો જનતાએ આક્ષેપ કર્યો હતો. 'ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે'ગીતાબેન ચોટલિયાએ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં સરકારી સ્કૂલ જ નથી. બીજી સ્કૂલમાં છોકરાઓને ભણાવવા પોસાય એમ જ નથી.કોર્પોરેટરોને તો ઓળખા જ નથી.એટલું જ નહીં કોર્પોરેટરો જોવા પણ નથી આવતા કે સ્કૂલ છે ક્યાં? ઘરના ખર્ચા, હીરામાં મંદી, સાડીઓમાં મંદી, બધાયમાં મંદી છે. ગેસના બાટલા પણ મળતા નથી.મત દેવો જ નથી આ વખતે કોઈને.ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે, 'આમાં દેજો મત, આમાં દેજો મત'. મત શેમાં દેવો? રાજલ દવેએ મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યોવોર્ડ નંબર એકના સ્થાનિક રહેવાસી રાજલ દવેએ કહ્યું કે, આ વિસ્તારમાં બે મહિલા કોર્પોરેટર છે. જ્યારે મત માંગવા આવ્યા ત્યારે જોયા હતા. બાકીના પાંચ વર્ષમાં જોયા નથી. આ વિસ્તારમાં મહિલાની સુરક્ષા નથી, કોઈ પણ હાલતા-ચાલતા છેડતી કરી શકે છે. એવા ઘણા કિસ્સા પણ આ વિસ્તારમાં જોવા મળ્યા છે. મર્ડરના કિસ્સા પણ જોવા મળી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી: વિપુલભાઈસ્થાનિક વિપુલભાઈએ જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની જ મોટામાં મોટી સમસ્યાઓ છે. તાપી નદીના બ્રિજ પર સવારથી લઈ સાંજ સુધી ટ્રાફિક હોય છે. ટ્રાફિકની સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી. કોઈ કામ સમયે પૂર્ણ થયા નથી. એ સાથે જ રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે અને થીગડા મારી દેવામાં આવે છે.ભાજપના ચાર કોર્પોરેટર છે. એમાંથી એક પણ ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. બસ ખાલી વાત થાય છે. કોઈને નામ પણ નથી આવડતા કોર્પોરેટરના. 'અમરોલીમાં ખૂબ સારી વ્યવસ્થા અને સુવિધા'લાલજીભાઈએ પણ ટ્રાફિક સમસ્યા મુદ્દે હૈયાવરાળ ઠાલવી.કહ્યું કે ગજેરા સર્કલ સુધી ટ્રાફિક થાય છે એનું નિરાકરણ આવે તો મહેરબાની. હું કોઈ નેતાનો માણસ નથી, હું આમ નાગરિક છું. રોજ આ રોડ ઉપર અવર-જવર કરું છું મને ખબર છે ટ્રાફિક કેટલું છે કેટલું નથી.ટ્રાફિકની સમસ્યા સિવાય લાલજીભાઈએ વિકાસ કાર્યોના પણ વખાણ કર્યાં. વધુમાં કહ્યું કે રોડ-રસ્તા બધું સારું છે. શાંતિ પણ છે કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બહુ સારી વ્યવસ્થા અને સુવિધાઓ પણ સારી છે. કોર્પોરેટરો આ વિસ્તારમાં આવે તો ઓળખીને!રેખા તારાએ મોંઘવારી અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા વધી રહ્યો છે. ત્યારે મહિલાઓને બહાર નીકળવામાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પ્રાથમિક સુવિધા મુદ્દે પણ રોષ વ્યક્ત કરીને કહ્યું રસ્તા ખરાબ છે, રાતના સમયે સ્ટ્રીટ લાઈટ નથી ચાલુ રહેતી. કોર્પોરેટરોને તો જોયા જ નથી એવી વાત કરી. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેટરો આ વિસ્તારમાં આવે તો એમને ઓળખીએને. આ સરકારને મત દેવાય નહીં: હર્ષદભાઈ સવાણીહર્ષદભાઈ સવાણીનું કહેવું છે કે જ્યાં કોસાડ ગાર્ડન છે, જ્યાં સિનિયર સિટીઝન લોકો કસરત કરવા, વોકિંગ કરવા જાય છે ત્યાં બધા દારૂડિયાઓ હોય છે. ત્યાં પોલીસ કંઈ જતી નથી કે કોઈ SMCના સાહેબ નથી જોતા. તેની બહાર રોજ ગટર છલકાય છે. રોજ કોર્પોરેશનવાળા માણસો આવે છે ટેન્કર લઈને, બધા પૈસા ખાવા બેઠા છે. બધા કોર્પોરેટરોને ઓળખીએ છીએ, બધાની છઠ્ઠી જાણીએ છીએ. પૈસા સિવાય કાંઈ થતું નથી. કોઈ કામ કરતું નથી. એની ઓફિસે જઈએ સહી કરાવવા તોય ધક્કા ખાવા પડે છે કે અત્યારે સાહેબ નથી. સાહેબ પૈસા લેવાની ઉતાવળમાં હોય ને! મત હવે આ વખતે આવે ને ત્યારે ખબર પડે. આ વખતે આવે? સોસાયટી આખી વિરોધમાં જ છે, હું એક નહીં. 'બસ અધિકારીઓ મનમાની કરીને રોડ ખોદી નાખે છે, પછી થીગડા મારે'અમિત તાડાએ જણાવ્યું હતું કે, કચરાના ઢગલાઓ છે અને રાત્રિના સમયે સળગાવવામાં આવે છે. એટલે વાતાવરણ પ્રદૂષણ વાળું થઈ જાય છે. વારંવાર રજૂઆતો કલેક્ટર, કોર્પોરેટરને કરી છે, મેયર સુધી, કમિશનર સુધી અરજીઓ કરી છે. પરંતુ નિરાકરણ હજુ સુધી થયું નથી. રેસીડેન્શિયલ વિસ્તારોમાં પણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની પરમિશનો આપવામાં આવે છે કોર્પોરેટરોની મહેરબાનીથી.અરજી કે ફરિયાદ કરી તો કોઈ જવાબ પણ આપતું નથી. બસ અધિકારીઓ મનમાની કરીને રોડ ખોદી નાખે, પછી થીગડા મારી દે છે રોડ ઉપર, ભલેને લોકો પરેશાન થયા રાખે. કોર્પોરેટરોને ફોન કરીએ તો આવું કામ અટકાવેલું હોય જ્યારે આપણે આંદોલન કરવા નીકળ્યા કે ભાઈ આ કામ શા માટે કરીએ છીએ, ત્યારે એ ખાલી બતાવવા આવે કે ભાઈ આ કામ તો સરકારી કામ છે, કરવા દો. કારણ કે એમાં તો એને અંદર ખિસ્સામાં પડતા હોય છે, એટલે ખાલી અમે કામ અટકાવીએ નહીં એટલે આવે છે. બાકી સારા કામની કે અમારી ફરિયાદો સ્વીકારવા માટે કોઈ આવતું નથી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:05 am

BCA વિવાદ:એપેક્ષની બેઠક મુદ્દે લેલેને વળતો ઇ-મેલ, સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો

બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં ચૂંટણીનું કોકડું હજી કોર્ટમાં ગૂંચવાયેલું છે. દરમિયાન બુધવારે બીસીએના માનદ સેક્રેટેરી અજિત લેલેએ એપેક્ષની બેઠક બોલાવવાના ઇ-મેલે વિવાદ સર્જ્યો હતો. હવે આજે એપેક્ષ મેમ્બર કલ્યાણ હરિભક્તિએ આ સંદર્ભે સેક્રેટરીને વળતો ઇ-મેલ કર્યો છે. જેમાં તેમણે હાઇકોર્ટની માર્ગદર્શિકાની વાતને ટાંકી સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો છે તેવો ઉલ્લેખ કરીને આ રીતે મર્યાદિત સભ્યોને જ બેઠક માટે આમંત્રિત કરી એપેક્ષની બેઠક બોલાવવી બિન સત્તાવાર, ગેરકાયદે અને કાનૂની મંજૂરી વિનાની ગણાવી હતી. આ રીતે બેઠક બોલાવવા પાછળ બદઇરાદો છે તેવો સીધો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું છે કે, પાછલી મંજૂરીઓ, નિમણૂકો અને કોન્ટ્રાક્ટ્સ અને અન્ય વહીવટી કામગીરી સહિતના મહત્ત્વના નિર્ણયો માટેની દિશામાં કામગીરીનો પ્રયાસ પણ હાઇકોર્ટની આ સંદર્ભે કરલી માર્ગદર્શિકાની ઘોર અવહેલના છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેક્રેટરી દ્વારા 11 સભ્યો પૈકીના 7 એપેક્ષ સભ્યોને જ ઇ-મેલ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ સંદર્ભે જ્યાં માર્ગદર્શિકાનું ઉલ્લંધન થતું હોય તે સ્થિતિમાં કાનૂની કાર્યવાહી કરવાની શક્યતા અંગેની ચીમકી પણ ઉચ્ચારી છે. અન્ય સભ્યોને શા માટે આમંત્રિત ન કરાયા તે પ્રશ્નકલ્યાણ હરિભક્તિએ જણાવ્યું કે, જેમની મેટર હમણાં કોર્ટમાં છે તે સભ્યોને શા માટે આમંત્રિત ન કરાયા તે સમજાતું નથી. આ વિશે સેક્રેટરીને સવાલો પૂછાવા જોઇએ. આ સંદર્ભે અજિત લેલેનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ પ્રતિક્રિયા મળી શકી ન હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:04 am

વડોદરામાં અશાંતધારાનો વ્યાપ વધ્યો:ભાયલીના TP 3-4ના 100 સર્વે નંબરમાં અશાંતધારો લાગુ, મિલકત વેચવા હવે કલેક્ટરની મંજૂરી ફરજિયાત

ભાયલીમાં રાજ્ય સરકારે અશાંતધારો અમલી બનાવ્યો છે. મહેસૂલ વિભાગે 30 માર્ચે પ્રસિદ્ધ કરેલા નવા જાહેરનામા અનુસાર જે.પી. રોડ પોલીસ મથકની હદમાં તાંદલજાની 500 મીટરની ત્રિજ્યામાં આવતા ભાયલીના ટીપી-3 અને 4ના વિવિધ પ્લોટ,સર્વે નંબરોનો સમાવેશ અશાંત વિસ્તારની યાદીમાં કર્યો છે. સરકારે 21 જાન્યુઆરી, 2025ના રોજ બહાર પાડેલા જાહેરનામામાં સુધારો કરી આ નિર્ણય લીધો છે. ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત બાદ વહીવટી તંત્રે કરેલા સરવેના આધારે ભાયલીના ચોક્કસ સર્વે નંબરને 5 વર્ષ માટે અશાંત જાહેર કર્યા છે. જેથી આ વિસ્તારોમાં મિલકત વેચવા કે હસ્તાંતરિત કરવા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત થશે.ધારાસભ્યે ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા 9 જુલાઈ,2025ના રોજ ના. કલેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું કે, ભાયલીની દક્ષિણ-પૂર્વ દિશાએ આવેલું તાંદલજા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991’ હેઠળ સૂચિબદ્ધ છે. ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થા સુચારુ રહે તે માટે તાંદલજાને અડી આવેલા ભાયલીના ટીપી-3 અને ટીપી-4 ના ફાઈનલ પ્લોટ અને સર્વે નંબરોની તપાસ કરી અશાંત વિસ્તારની સૂચિમાં ઉમેરવા ભલામણ કરી હતી. શહેરના મુખ્ય વિસ્તારો જ્યાં અશાંતધારો લાગુ છે 1. સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર જેમાં માંડવી, ગેંડીગેટ, પાણીગેટ, તેની આસપાસની પોળ.2. વાડી, ગાજરાવાડી અને આસપાસના રહેણાક વિસ્તાર.3. કારેલીબાગ-ફતેગંજના વિસ્તાર, નવાપુરા- રાવપુરાના સંલગ્ન વિસ્તારો.4. પાણીગેટ દરવાજાની અંદર અને બહારના વિસ્તારો.5. ગોરવા અને જેપી રોડ, ભાયલીના ચોક્કસ સર્વે નંબરો ધરાવતી સોસાયટી. અશાંતધારાનો ભંગ થતાં રહીશોએ રામધૂન કરીતાંલદજાના અક્ષર આર્યનામ ફ્લેટના રહીશોની રજૂઆત છે કે, અમારા ફ્લેટની સામે જ બીજા ફ્લેટની સ્કીમ મૂકાઈ છે. જેમાં સ્થાનિક કોર્પોરેટરના ભાઈ રાજવીરસિંહ ચુડાસમાનું નામ છે, જે સ્કીમનો વહીવટ કરશે. જ્યારે અન્ય બે ભાગીદાર સોહિલ મેમણ અને કૈયુમ મેમણ છે. જેથી હિંદુઓની વસતીમાં લઘુમતી કોમના લોકોને મકાન મળે તો કાયદો અને વ્યવસ્થા જોખમાય તેમ હોવાથી ફ્લેટની સ્કીમ માટે લીધેલી અશાંતધારાની પરવાનગી રદ કરવા રહીશોએ કલેક્ટર કચેરી પહોંચીને રામધૂન બોલાવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:02 am

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી:બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં કમોસમી વરસાદની શક્યતા, 40 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ દ્વારા 3 એપ્રિલ એટલે કે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખસા કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ શક્યતાઃ અંબાલાલહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ) સર્જાવા જઈ રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં પવનની ગતિ લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તો કેટલાક ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગમાં હવામાન પલટાશે, જામનગરના ભાગો અને આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા છે. 2 એપ્રિલના જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં 2 એપ્રિલના રોજ અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:00 am

'કોર્પોરેટર ઉદ્ઘાટન સમયે ફોટા પડાવવા જ આવે છે':અહીંયા વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી, ચૂંટણી નજીક આવતા મતદારોએ પીત્તો ગુમાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ પાર્ટીએ તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે 5 વર્ષ દરમિયાન જનતાના પ્રતિનિધિઓએ જનતા માટે કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર વેજલપુર વોર્ડમાં પહોંચ્યું હતું. 5 વર્ષમાં મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જનપ્રતિનિધિઓએ કોઈ મહેનત કરી છે કે નહીં તેમજ જનપ્રતિનિધિનો ચૂંટણી બાદનો રિપોર્ટ કેવો છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપનું શાસન અને વેજલપુર વોર્ડમાં તમામ કોર્પોરેટર ભાજપના હોવા છતાં લોકોએ સમસ્યાઓને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડોનું બજેટ ધારાસભ્ય પણ ભાજપના છતાં નાગરિકો પ્રાથમિક સુવિધાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યાનો નિકાલ લાવવામાં પણ કોર્પોરેટર નિષ્ફળ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અનેક રજૂઆત કરવા છતાં ગટર ઉભરાવવાની, પાણી ભરાવવાની, બ્રિજની ધીમી કામગીરી જેવી સમસ્યાથી નાગરિકો આજે પણ હાલાકીમાં વેઠવવા મજબૂત બન્યા છે. 5 વર્ષમાં જનપ્રતિનિધિઓએ કેટલો વિકાસ કર્યો તે પૂછવા માટે દિવ્ય ભાસ્કર જ્યારે પહોંચ્યું ત્યારે મતદારોએ સમસ્યાઓનો મારો કરી દીધો. અમારો વિસ્તાર તો અમદાવાદ શહેરની બહારનો હોય એવું લાગે છે- વિપુલ ત્રિવેદીવેજલપુર વોર્ડના રહેવાસી વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વેજલપુર બોર્ડ જાણે અમદાવાદ શહેરની બહારનો વિસ્તાર હોય એવું લાગી રહ્યું છે. તાલુકામાં આવતું હોય તેવી અનુભૂતિ વર્ષોથી કરી રહ્યા છીએ. વેજલપુર વોર્ડમાં શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જીવરાજપાર્ક ચાર રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે ત્યાં લાઇટનો અભાવ છે. ટ્રાફિકની સમસ્યા તો એટલી હદે છે કે કંટાળી ગયા છીએ. વેજલપુર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્ય છે પરંતુ જાણે આ વિસ્તાર સરળતાથી જીતી જતા હોય અમારી સમસ્યા સામે કોઈ ધ્યાન આપતું નથી. નેતાઓ ઉદ્ઘાટન સમયે જ હાજર રહે છે- રક્ષિતવેજલપુર વોર્ડના રહેવાસી રક્ષિતભાઈએ જણાવ્યું હતું કે, વેજલપુર વોર્ડમાં ઘણા સમયથી ખાનગી શાળાઓ બની રહી છે, પરંતુ સરકારી શાળા બની રહી નથી. બીજા વોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ બની રહી છે પરંતુ વેજલપુર વોર્ડમાં સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કોર્પોરેટરને વોટ આપીને જીતાડીએ છીએ પરંતુ તે લોકો શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રમાં પણ જરાય પણ ધ્યાન આપતા નથી. કોર્પોરેટરો માત્ર અને માત્ર ઈનોગ્રેશનમાં અને ફોટા પડાવતી વખતે જ તેમની હાજરી જોવા મળતી હોય છે. ક્યાંય પણ વિકાસલક્ષી કામગીરી કરતા જોવા મળતા નથી. લોકોને રજૂઆત સાંભળવાનું તો દૂર પરંતુ ફોન પણ ઉપાડતા નથી અને ફોન પર ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય છે. વેજલપુરમાં વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી- પ્રકાશ પંડ્યાવેજલપુર વોર્ડમાં રહેતા પ્રકાશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, વેજલપુર વોર્ડમાં કહેવાય છે કે ઘણો વિકાસ કર્યો છે પરંતુ ક્યાય પણ દેખાતો નથી. અમારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં એક ઇંચ પણ વરસાદ પડે તો ઘરમાં પાણી ઘૂસી જાય છે. તેમજ આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલની અનેક વખત અરજીઓ કરી છે પરંતુ તેનો નિકાલ આવતો નથી. વરસાદ સમયે પાણી ભરાવાથી ગાડીઓ બંધ થઈ જાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી. ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ક્યાં વાપરવી તે બધું કોર્પોરેટરના હાથમાં હોય છે, ક્યાં ગોઠવવું અને કઈ રીતે ગોઠવવો એ સૌ કોઈ જાણે છે. વેજલપુર વોર્ડનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થયો જ નથી. 27 વર્ષથી નેતાઓ પાણીની સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી- રાજેન્દ્ર પરમારરાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે, શ્રીનંદ નગર વિભાગ 1,2,3,4, વેજલપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ચોમાસામાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે. આજ દિન સુધી અનેક નેતાઓ આવ્યા અને અમે રજૂઆત કરી કે આનો નિકાલ લાવો. છેલ્લા 27 વર્ષથી એક પણ નેતાએ પાણીની સમસ્યાનો નિકાલ લાવ્યો નથી. ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનમાંથી ટીમ મોકલી અને પાણીનો નિકાલ લાવી દે છે. પરંતુ કાયમી ઉકેલ લાવવા કોઈ કામ કરવામાં આવતું નથી. ચોમાસામાં ઘરમાં પાણી ભરાઈ જાય છે આખી રાત પાણીમાં બેસી રહેવું પડે છે. જે બાદ ફાયર ફાઈટર આવે અને પાણીનો નિકાલ કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે. કોર્પોરેટરો નિકાલ કરવાનું વચન તો આપે છે પરંતુ કામ થતું નથી. ગોકળગતિએ ચાલતા બ્રિજની કામગીરીના કારણે પરેશાનીઃ પ્રકાશ શ્રીમાળીવેજલપુર વોર્ડના રહેવાસી પ્રકાશભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી વેજલપુરમાં બની રહેલો બ્રિજની કામગીરી પૂરી થતી નથી. તેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. આસપાસના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાર્કિંગની પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. બ્રિજની કામગીરી પૂરી ન થતા ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયા છીએ. જે લોકોના રસ્તા પર ઘર છે તે લોકો તો કંટાળી ગયા છે. લોકો તો ઘર છોડીને જતા પણ રહ્યા છે. કારણકે આટલો બધો ટ્રાફિકમાં કોણ રહેવું પસંદ કરે ? કોર્પોરેટરો ક્યારે પણ કોઈના ફોન પણ ઉપાડતા નથી અને રજૂઆત અનેક વખત કરી પરંતુ કોઈ સાંભળવા વાળું હોવું જોઈએ ને. બ્રિજની કામગીરી કેટલે પહોંચી છે તે પણ કોઈ જોવા આવતું નથી. 'રોડ પર રોડ બનાવી દેવાતા પાણી ભરાવાની સમસ્યા'ગાયત્રી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડનો વિકાસ તો થયો છે પરંતુ તેની સામે ખાડા પણ એટલા જ પડેલા છે. ફૂટપાથ જે બનાવ્યું છે તે તો દુકાનદારોને ધંધો કરવા માટે બનાવ્યું હોય એવું લાગે છે. મંદિરની આગળ જ ફુટપાથ પર લોકો પાર્કિંગ કરીને જતા રહે છે. ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણી ભરાય છે. પાણી ભરાવાનું કારણ એ છે કે રોડ ખોદતા નથી અને રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ ત્રણ ફૂટ રોડ ઊંચા થઈ જતા સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. પક્ષ હોય તે વિરોધ પક્ષ પાણીનો નિકાલ લાવવા માટે કોઈપણ કામ કરતા નથી. રજૂઆત તો લેખિત પણ કરી ફોટો પણ આપ્યા છતાં આજ સુધી કશું થતું નથી. કોર્પોરેટર અને ધારાસભ્ય આવે તેવું કહે છે કે થઈ જશે થઈ જશે પરંતુ કામ થતું નથી. એવું પણ કહે છે કે તમારે સોસાયટી ખાડામાં છે પરંતુ જે તે સમયે અમારી સોસાયટી ખાડામાં ન હતી પરંતુ રોડ ત્રણ ફૂટ ઊંચા કરી દેતા સોસાયટી ખાડામાં જતી રહી છે. ગટરો ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાનમહેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારી પાણીની સમસ્યા છે ઘણા લોકો આવીને જતા રહ્યા પરંતુ અમારી સમસ્યા દૂર થતી નથી. પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ગટરના પાણી ઉભરાવાથી અમારા માટે તો કાયમી ચોમાસું છે. ચોમાસામાં તો દૂર પરંતુ ઉનાળામાં પણ રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ. પરંતુ કોઈ પણ જોવા આવતું નથી. જોવા માટે આવે છે પરંતુ જોયા બાદ આવતીકાલે થઈ જશે તેવું આશ્વાસન આપી પરત આવતા જ નથી. ફોટા પણ પાડી જાય છે પરંતુ આગળની કોઈ કાર્યવાહી કરતા નથી. અમારો સોસાયટીનું ગટરના પાણી સોસાયટીની બહાર જતા જ નથી. કોર્પોરેશન જો સોસાયટીની બહાર પાણી નીકળવાનો રસ્તો કરી આપે તો અમારા સોસાયટીના ગટરના પાણી સોસાયટીમાં ન ભરાય. શ્રીનંદનગરના રહેવાસી મગનભાઈએ જણાવ્યું હતું કે, મોટો મોટો વિકાસ થયો છે. પરંતુ પાણી ભરવાની સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી. ગટરો પણ ઉભરાઈ જે છે જેમાં કારણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોવા માટે આવે છે પરંતુ સમસ્યાનો કોઈ નિકાલ કરતા નથી. રજૂઆત કરી કરીને હવે તો થાકી ગયા છીએ. ફોટો પાડીને અધિકારીઓ જતા રહે છે પરંતુ કામ કરતા નથી. બહારની ગટર લાઇનનું પાણી ઉભરાય છે અને પાણી અમારી સોસાયટીમાં આવી જાય છે. ચોમાસામાં તો ઘૂંટણ અને કમર સુધી પાણી ભરાયેલા હોય છે. મંદિર હોવા છતાં ગંદકીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. ચારે બાજુ ગટર જ ઉભરાઈ જાય છે. બધાને રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ પણ સાંભળતું નથી. રેખાબેને જણાવ્યું હતું કે, અમારે સૌથી મોટી સમસ્યા ગટરની છે. દરરોજ ગટર ઉભરાય છે જેના કારણે છોકરાઓ પણ પડી જાય છે. ગટરના પાણી ભરાતા મચ્છર પણ કરડે છે અને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે હું પણ અત્યારે બીમાર છું અને મારે પણ બાટલા ચડે છે. ચોમાસામાં તો કમર સુધી પાણી ભરાઈ જાય છે જેથી બહાર જ નીકળી શકતા નથી. અનેક વખત રજૂઆત કરી છે પરંતુ જોવા કોઈપણ આવતું નથી. ચૂંટણી સમયે વાયદાઓ કરી કરીને જતા રહે છે પરંતુ તે બાદ દેખાતા જ નથી. એ લોકોને ગરજ હોય ત્યારે જ આવે છે બાકી આવતા જ નથી. આકાશ પરમારે જણાવ્યું હતું કે, વિકાસ થયો છે પરંતુ ડ્રેનેજ લાઇનની સૌથી મોટી સમસ્યા આ વિસ્તારમાં છે. એવી સ્થિતિ સર્જાઈ છે કે ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. ગટરના પાણી ભરાઈ જવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે. જેથી નાના છોકરાઓ બીમાર પણ પડી જાય છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:00 am

સંઘવીની ક્રિસ ગેલની જેમ ફટકાબાજી:MLA મેડમ વિકેટ કિપર બન્યા; શૈલેષ સોટ્ટાએ કોનું ‘જય શ્રી રામ’ કરી નાખવાની હનુમાનજીને પ્રાર્થના કરી?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:00 am

સિટી એન્કર:પત્નીએ સવારે નાસ્તો ન બનાવી આપતાં પતિ વિફર્યો, ઘરેથી કાઢીને મૂકી કહ્યું, જ્યાં જવું હોય ત્યાં જા,પણ પાછી ન આવતી

આજવા રોડ પર રહેતા દંપતી વચ્ચે સવારનો નાસ્તો બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેને પગલે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી આખો દિવસ પતિનો કૉલ ન આવતાં મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ મહિલાને લઈને તેમના ઘરે પહોંચી હતી અને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે બાદ પતિ ખાતરી આપી હતી કે, તે હવે ક્યારેય પત્નીને ઘરમાંથી બહાર નહીં કાઢી મૂકે અને તેની સાથે સારો વ્યવહાર કરશે. આજવા રોડ પર રહેતા પ્રકાશભાઈ (નામ બદલ્યું છે) કરિયાણાની દુકાન ચલાવે છે. તેમણે ઘરના તમામ કામ માટે કામવાળા બહેન રાખ્યાં છે. જેથી તેમની પત્ની રાખીબહેન (નામ બદલ્યું છે)ને કોઈ કામ ન કરવું પડે. રાખીબહેનને સવારે માત્ર નાસ્તો જ બનાવવાનો હોય છે. જોકે મંગળવારે રાખીબહેને નાસ્તો બનાવ્યો ન હોવાથી પતિએ તેમની સાથે ઝઘડો થયો હતો. પત્નીએ કહ્યું હતું કે, મારી તબિયત સારી ન હોવાને કારણે નાસ્તો નથી બનાવ્યો. છતાં પ્રકાશભાઈએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે, તારે જ્યાં જવું ત્યાં જા, પણ ઘરે ન આવતી. જેથી રાખીબહેન ઘરમાંથી નીકળી ગયાં હતાં. તેઓને લાગ્યું હતું કે, પતિનો ગુસ્સો શાંત થશે ત્યારે કૉલ કરીને બોલાવી લેશે. જોકે રાત સુધી પતિનો કૉલ ન આવતાં તેઓએ અભયમને કૉલ કરીને સમગ્ર ઘટના જણાવી હતી. જેથી અભયમની ટીમ રાખીબહેને લઈને તેમના ઘરે પહોંચી હતી. ટીમે પ્રકાશભાઈને સમજાવ્યા હતા કે, તમારી પત્નીની તબિયત 3 દિવસથી ખરાબ હોવાથી તે નાસ્તો બનાવી શકતાં નથી, આવી નાની વાતમાં ઘરમાંથી કાઢી ન મૂકાય. આવી અવસ્થામાં તેમની મદદ કરવી જોઈએ. જેથી પ્રકાશભાઈ રાખીબહેન પાસે માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. બંને સમયનું જમવાનું બનાવવા બહેન રાખ્યાં છે, પત્નીએ માત્ર નાસ્તો બનાવવાનો છેઃપતિઅભયમની ટીમ પ્રકાશભાઈના ઘરે પહોંચી ત્યારે તેમણે ટીમને જણાવ્યું કે, પત્નીને કોઈ કામ ન કરવાં પડે તે માટે કામવાળાં બહેન રાખ્યાં છે. બંને સમયનું જમવાનું બનાવવા માટે પણ બહેન આવે છે, માત્ર સવારે નાસ્તો બનાવવાનો હોય છે, તે પણ તે નથી બનાવતી. જેથી મેં તેને પાઠ ભણાવવા માટે ઘરમાંથી કાઢી મૂકી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:58 am

ખનીજ વિભાગની કડક કાર્યવાહી:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ કબજે

છેલ્લા થોડા સમયથી ભૂમાફિયાઓ પર ખાણ અને ખનીજ વિભાગે ધોંસ બોલાવી છે અને ચાર ડમ્પર તેમજ એક એસ્કેવેટર સહિતના 1.07 કરોડના સાધનો કબજે લઇ તેના માલિકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી તેજ બનાવાઇ છે. વાંકાનેર તાલુકામાં Dy.S.P. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. પટેલ, પીએસઆઇ ડી.વી. ખાંભલા તથા સ્ટાફ દ્વારા તાલુકા પંથકમાં ખનીજ ચોરી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેસરીયા પંથકમાંથી ત્રણ ખનીજ ભરેલા તથા એક ખાલી ડમ્પર પકડી પાડવામા આવ્યા હતા, જ્યારે તાલુકાના ભેરડા વિસ્તારમાંથી એક ડમ્પર સાથે સહિતના કરોડોના સાધનો પકડી પાડ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ખનીજ માફીયાઓ બેલગામ બની ગયા હતા જેને પોલીસ કે ખનીજ વિભાગનો કોઈ જ પ્રકારનો ડર જ ન હોય તેવી રીતે બેખૌફ બની ખનિજનું ખનન તથા ગેરકાયદે વહન કરી રહ્યા હતા. તેના પર ધોંસ બોલાવવા પોલીસ અને ખાણ ખનીજ ખાતું સાગમટે ત્રાટક્યું હતું. ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ છવાયો ગયો છે. તાલુકા પોલીસ ટીમે સવારથી જ પંથકમાં ચેકિંગ કામગીરી શરૂ કરી હતી જેમાં કુલ ચાર ડમ્પર તથા એક એસ્કેવેટર જપ્ત કરી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ખનીજ વિભાગે પણ આળસ ખંખેરવી પડી હતી, માલિકોને દંડ ફટકારવાની ગતિવિધિ તેજ કરી છે. પોલીસે ચાર ડમ્પર જેની 1.20 કરોડ રૂપિયા તેમજ એક એસ્કેવેટર કે જેની કિંમત રૂપિયા 50 લાખ મળી કુલ 1.70 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:34 am

મનપાની 52 બેઠકો માટે મૂરતિયાઓનો રાફડો:મહાનગરપાલિકાની 52 બેઠક માટે નવ ગણાં 491 દાવેદાર !‎

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 54 સીટ માટે 491 ભાજપ કાર્યકરોએ ટિકિટ માંગી છે. ગત ચૂંટણીમાં સંયુક્ત પાલિકામાં 13 વોર્ડ જ હતા તેમ છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. આ વખતે વોર્ડ નં.9માં સૌથી વધુ 52 કાર્યકરોએ ટિકિટ માંગી છે. જે ખરેખર તમામ વોર્ડના સભ્યો બરાબર છે. ખાસ કરીને આ વોર્ડમાં માળોદ અને ખેરાળી બે ગામ ભળતા ગામડામાંથી પણ કાર્યકરોએ ઉમેદવારી કરી છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની પહેલી ચૂંટણીનો બુંગીયો વાગી ચૂકયો છે. 491 ભાજપ કાર્યકર્તાઓએ આ વખતે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. વોર્ડ નં.9 બાદ સૌથી વધુ વોર્ડ નં.3માં 32એ ટિકિટ માંગી છે. મહત્વની બાબત એ છે કે, પાલિકાના વહિવટના સારા જાણકાર છે અને કાયદાની સાથે નિયમો પણ સારી રીતે જાણે છે તેવા પીઢ નેતાઓએ ટિકિટ માંગવાનું ટાળ્યું છે. ભાજપની પરંપરા રહી છે કે ટિકિટ માંગવાનો બધાયને અધિકાર છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઇ મોદી અને પાલનપુરના ધારાસભ્ય અનીકેતભાઇ ઠકકરે ઉમેદવાર કાર્યકરોને સાંભળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાના માર્ગદર્શનથી પ્રભારી પ્રતાપભાઇ ખાચર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઇ રાવલ અને વિપુલભાઇ ચૌહાણ સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. ટેકનીકલ રણનીતિ : ફોર્મમાં સો.મીડિયા ફોલોઅર્સ જણાવવા ફરજિયાતમનપાની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારે ફોર્મ ભરવાના હોય છે ત્યારે સામાન્ય રીતે ઉમેદવારનું સભ્ય પદ કેટલા સમયથી પક્ષમાં સક્રિય અને શું શું કામગીરી કરી તેની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ આ ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારની સોશિયલ મીડિયામાં સક્રિયતા તપાસવા ખાસ કરીને કેટલા ફોલોઅર્સ છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. આમ જેના ફોલોઅર્સ ઓછા તેની ટિકિટ કપાશે તે નક્કી તેવી ચર્ચા છે. મનપાની ચૂંટણીમાં આટલા ઉમેદવારોએ દાવેદારીની વિગત 50% નવા ઉમેદવારો સામે વહિવટનો મોટો પડકારમનપાની આ પહેલી ચૂંટણીમાં હાલની સ્થિતિ જોતા સૌથી વધુ નવા ચહેરાને સ્થાન અપાઇ શકે છે. યુવા ટીમને મનપાના વહિવટ અને સદસ્યો, ચેરમેનની સત્તાનું વિશેષ જ્ઞાન નથી. આથી 80% નવા ચહેરાઓના હાથમાં સત્તા આવશે તો મોટો પડકાર ઉભો થશે. ઉમેદવારો વધવાના મુખ્ય કરણો ભાસ્કર ઇનસાઇડ: 3 ટર્મ, 60 વર્ષની આયુ, પરિવારવાદનો નિયમ જળવાય તો અનેકની ટિકિટ કાપશેભાજપે પોતાની નવી ઉમેદવારની ટીમ તૈયાર કરવા માટે 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા હોય તેવા અને પરિવારના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હોવાની હાલ ચર્ચા છે. જો પક્ષ ખરેખર આ નિયમનું ચુસ્ત પણે પાલન કરે તો અત્યારે જે લોકોએ ટિકિટ માંગી છે તેમાંથી ઘણા લોકોની ટિકિટ કપાઇ શકે છે. ભાસ્કર એક્સપર્ટ: ટિકિટ કપાશે તેઓના ક્રોસ વોટિંગ થઇ શકે છેઆટલી મોટી સંખ્યામાં જ્યારે ભાજપના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે ત્યારે ટિકિટ માત્ર 52 વ્યકિતને જ મળવાની છે. આથી જે લોકોએ માત્ર નામ ખાતર ટિકિટ માંગી છે તેમાં કોઇ વાંધો નહી આવે પરંતુ જે ખરેખર સાચા દાવેદાર છે, પક્ષ અને પોતાના વોર્ડમાં સક્રિય છે તેવા લોકોની ટિકિટ કપાશે તો ક્રોસવોટીંગની શકયતાઓ વધી જશે. પરંતુ સામે કોંગ્રેસ નિષ્ક્રિય છે. આથી લોકો પાસે ભાજપ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. પરિણામે અંતે ભાજપનું પલડુ ભારે રહી શકે છે. - કે.સી.શાહ, પૂર્વ સદસ્ય (એક્ષપર્ટ)

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ઝાલાવાડમાં ગરમીની ઓવર સ્પિડ:વર્ષ 2024માં માર્ચમાં પારો 42 ડિગ્રી પહોંચતા 26 દિવસ લાગ્યા હતા, આ વર્ષે માત્ર 10 દિવસ

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ ગરમીનો પારો સતત વધઘટ વાળો રહ્યો છે. ત્યારે માર્ચ માસમાં ગરમીનો છેલ્લા 10 વર્ષનો પારો મહતમ તાપમાન સુધી પહોંચવામાં સૌથી ઓછા દિવસો લાગ્યા છે. જિલ્લામાં આ વર્ષ માર્ચ માસનું હાઇએસ્ટ મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી રહ્યું છે. જે માત્ર 10 દિવસમાં ગરમીનો પારો વધતા લાગ્યા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું છે જેને માત્ર11 દિવસ લાગ્યા છે. સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆત સાથે આકરા ઉનાળાની શરૂઆત થઇ જતી હોય છે. ત્યારે મહત્તમ ગરમી સુધી પહોંચતા સામાન્ય રીતે 20થી 28 દિવસનો સમય લાગે છે. ત્યારે જિલ્લામાં આ વર્ષ માર્ચ તાપમાનની દ્રષ્ટીએ ઉતાર ચઢાવ વાળો રહ્યો છે. જેમાં શરૂઆતમાં મધ્યમ તાપમાન બાદ બાદ મહિનાના અંતમાં વાતાવરણ પલ્ટાને કારણે ગરમી ઘટી તથા સપ્તાહમાં ઉનાળાની અસર ઓછી વર્તાયા બાદ અંતના દિવસોમાં ફરી તાપમાન વધ્યું હતું. આ વર્ષ એપ્રિલની શરૂઆતમાં વર્તાતી હોય તેમ 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. ત્યારે જૂના વર્ષોના તાપમાન સાથે સરખાવીએ તો આ વર્ષનો માર્ચ મહિનો જિલ્લામાં છેલ્લા 10 વર્ષના તાપમાનની દ્રષ્ટીએ સૌથી વધુ મહત્તમ જે બપોર બાદ નોંધાય છે તેના 42 તાપમાનના પારા સુધી પહોંચવામાં સૌથી ઓછા 10 દિવસો લાગ્યા છે. જ્યારે લઘુત્તમ તાપમાન જે રાત્રી બાદ નોંધાય છે તેના હાઇએસ્ટ 25 ડિગ્રી સુધી પહોંચતા 11 દિવસ લાગ્યા છે. વાતાવરણ પલટો, કમોસમી વરસાદે તાપમાન આ વર્ષ ઓછુ કર્યું20 માર્ચે વાવાઝોડુ, વરસાદ અને 4 દિવસ સુધી વાતાવરણ પલ્ટાને કારણે માર્ચમાં અંતિમ દિવસો થોડી રાહત થઈ. છેલ્લા દિવસો દરમિયન લઘુત્તમ તાપમાન 23.5 અને મહત્તમ 35.3 રહ્યું હતું. ગત વર્ષ માર્ચે લઘુતમ 23.6 અને મહત્તમ 37.5 ડિગ્રી રહ્યું હતું. માર્ચમાં મહત્તમ તાપમાન સુધી પહોંચવામાં લાગેલા દિવસો

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ફરિયાદ:શીશલી ગામે મહિલા સહિત 3 શખ્સનો યુવતી પર હુમલો

પોરબંદરના શીશલી ગામે યુવતીના પિતા અને યુવતી સાથે શખ્સોને મનદુખ હોય જે મનદુઃખના કારણે મહિલાઓએ યુવતીને માર માર્યો હતો જ્યારે શખ્સે યુવતીને ગાળો કાઢી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના શીશલી ગામે નવાપરા પાણીના ટાંકા પાસે રહેતી જ્યોતિબેન ભરતભાઈ મોઢાના પિતા તથા આરોપીઓ માયાબેન સંજય મોઢા, તેજલબેન વિજય અને અમિત સંજય મોઢાને ત્રણ વર્ષ પહેલા મારામારી અને ઝઘડો થયેલ હતો, જે બાબતે આરોપીઓ વચ્ચે મનદુઃખ હતું. જેને કારણે માયાબેન અને તેજલબેને જ્યોતિબેનને ઢીકા પાટુનો માર મારી ગાળો કાઢી હતી જ્યારે અમિતે જ્યોતિબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જ્યોતિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે માયાબેન, તેજલબેન અને અમિત સામે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

આદેશ:જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપની પરીક્ષા કેન્દ્રોની આસપાસ એક કે તેથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ

પોરબંદર જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપ (CGMS) 2026 ની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો આસપાસ લોકો એકત્ર ન થાય અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તેમજ પરીક્ષા શાંતિ અને એખલાસભર્યા વતાવરણમાં યોજાય તેમ માટે એકથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન દ્વારા કોપીઓ કરવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. બિનઅધિકૃત વ્યકિતઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહી તે હેતુથી પોરબંદર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા પોરબંદર જિલ્લા ખાતેના નિયત કેન્દ્ર કે ઝોનલ ઓફીસ ખાતે તા.04.04.2026 ના રોજ સવારે 10.30 થી બપોરના 13.30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહી, સુત્રો પોકારવા નહી, લાઉડ સ્પીકર કે અન્ય રીતે ધોંધાટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર નજીક ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા મનાઈપોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની ઝેરોક્ષ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ કે મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી કે ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્કયુલેટર, ડીઝીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનીકેશન થઇ શકે એવા કોઇ પણ પ્રકારના સાધનો કે ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. જેથી કોઇ ગેરરિતી કે પરીક્ષામાં ચોરી લક્ષી પ્રવૃતિઓને રોકી શકાશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

દુર્ગંધથી લોકો પરેશાન:ખુદ મનપાના બિલ્ડિંગમાં શૌચાલયની અવદશા !

પોરબંદર મહાનગર પાલિકાના બિલ્ડિંગમાં જ સ્વચ્છતાની હાલત અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. મનપા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શૌચાલયમાં ગંદકી અને અવ્યવસ્થાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે અહીં આવનારા નાગરિકો અને કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. શૌચાલયમાં પાર્ટીશન તૂટેલી હાલતમાં છે અને ગંદા પાણીના નિકાસ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ફ્લોર પર ગંદુ પાણી ફેલાઈ રહે છે. આ ગંદકીના કારણે ત્યાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, ઉલ્લેખનીય છે કે, અહીં અનેક વિભાગમાં અરજદારો આવતા હોય છે અને ગ્રાઉન્ડ ફ્લોરના શૌચાલયનો ઉપયોગ કરે છે ત્યારે આ શૌચાલયની અવદશાના કારણે કેટલાક અરજદારો ત્યાં જવાનું ટાળી રહ્યા છે. ફ્લોર પર ગંદુ યુરિનલ પાણી ભરાઈ રહેતા અંદર જવું મુશ્કેલ બન્યું છે. મહાનગર પાલિકાના બિલ્ડિંગમાં આ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ખેડૂતો ચિંતાતુર બન્યા:પોરબંદરમાં કમોસમી વરસાદ‎

પોરબંદર જિલ્લામાં ગુરુવારે સવાર થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર શહેરમાં કમોસમી વરસાદનું ઝાપટું નોંધાયું હતું.શહેરમાં કમોસમી વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.જોકે હવામાન વિભાગ દ્વારા શુકવારે પણ પોરબંદર સહિત રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ, આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહીને લઈને પોરબંદર શહેરમાં ગુરુવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ એકાએક પોરબંદર શહેરમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.શહેરમાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાતા રોડ પર લગાવેલ બેરીકેટ પણ ઉડયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયાપોરબંદર ઉપરાંત ગ્રામ્ય પંથકોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના મિયાણી ભાવપરા ટુકડા વિસાવાળા પાલખડા રાતડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા હાલ ખેડૂતોએ ઉનાળુ પાક નું વાવેતર કર્યું છે જેને લઈને પાકમાં નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે. ત્યારે બપોરના સમયે આ પંથકમાં કમસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તસવીર - રામ મોઢવાડીયા આજે પણ વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા શુકવારે પણ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ભાસ્કર બ્રેકિંગ‎:પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે

આગામી દિવાળી અગાઉ પોરબંદર થી વડોદરા એક કલાકમાં પહોંચી જવાશે, કારણ કે વડોદરા એરપોર્ટ થી આ વર્ષે ઓક્ટોબરમાં ત્રણ સ્થળ માટેની એર ટેકસીની ફ્લાઈટ શરૂ થવાની છે આ ત્રણ સ્થળમાંથી એક સ્થળ પોરબંદર પણ છે. આ સેવા શરુ થતા પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે. જેથી હવાઈ મુસાફરી માટે હંમેશા પાછળ રહી ગયેલા પોરબંદરને આ ફલાઈટ મળતા 9 કલાકનો રસ્તો 1 કલાકમાં કાપી શકાશે. પોરબંદર અને વડોદરા વચ્ચેની હવાઈ સેવાને ઉડાન સ્કીમ અંતર્ગત વીમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાય છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે આ સેવા અંતર્ગત વિમાનમાં આઠ મુસાફરો હવાઈ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર પણ આકર્ષક રખાશે આ સેવા શરૂ કરાતા પોરબંદર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. તે સિવાય વડોદરામાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીઓને પણ પોરબંદર વડોદરા વચ્ચે આવવું જવું સરળ બની જશે. ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે, જેમાં સરકાર વાયાબીલીટી ગેપ ફંડિંગ આપશે, એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવળશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પોરબંદર થી મુંબઈ અઠવાડિયામાં બે દિવસ જવાની ફ્લાઈટ છે, પણ હવે પોરબંદર થી બરોડા જવાની પણ ફ્લાઈટ શરૂ થતા શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગ અને મેડિકલ ટુરીઝમને વેગ મળશે. તે ઉપરાંત અહીંથી વડોદરા ભણવા જતા વિદ્યાર્થીઓને પણ પોતાના વતન આવવા માટે એક નવી યુટીલીટી મળશે. વડોદરા જવા માટે અત્યારે લાગતા 9 થી 10 કલાકના રસ્તામાં ઘટાડો થશે અને હવે આ સેવા મારફતે વડોદરા જવા માટે લોકો એક કલાકમાં પહોંચી શકશે. માત્ર રૂ.10માં ચા, રૂ.20માં નાસ્તો: ઉડાન કાફેનું આકર્ષણહવાઈ મુસાફરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે એરપોર્ટ પર ખાસ ''ઉડાન કાફે'' શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કાફેમાં મુસાફરોને એરપોર્ટના મોંઘા ભાવથી મુક્તિ મળશે અને માત્ર રૂ. 10 માં ચા તથા રૂ. 20 માં સમોસા જેવો નાસ્તો મળી રહેશે. સરકાર દ્વારા ઓપરેટરોને સબસિડી અપાતી હોવાથી ફ્લાઈટની ટિકિટના દરો પણ મધ્યમ વર્ગને પરવડે તેવા આકર્ષક રાખવામાં આવશે. અગાઉ જે અમદાવાદની ફ્લાઈટ બંધ થઈ હતી તેનો વિકલ્પ પણ બની શકશે પોરબંદર થી અમદાવાદ જવા માટે પહેલા એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી,જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ પાછળથી કોઈને કોઈ કારણોસર આ ફ્લાઈટ બંધ થઈ જતા પોરબંદરના પ્રવાસીઓને અમદાવાદ સુધીની હવાઈ સેવા બંધ થઈ ગઈ હતી. હવે ફરી જ્યારે આ સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ નહીં તો વડોદરા સુધી પણ પોરબંદર વાસીઓને જવા મળશે તો તેમને ગુજરાત સાથેનું એર કનેક્શન મળી જશે જેથી આ ફ્લાઈટ અમદાવાદની ફ્લાઈટનો વિકલ્પ પણ બની શકશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

વાવેતર:પિયતની સગવડ હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ પાકનું 7741 હેકટરમાં વધુ વાવેતર, કુલ 13361 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર

પોરબંદર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે.આ વર્ષે જિલ્લામાં ઉનાળુ પાક માટે પૂરતી પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7741 હેકટરમાં વધારા સાથે કુલ 13361 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયું હતું તો ગત વર્ષે જિલ્લામાં કુલ 5620 હેકટરમાં બાજરી, મગ,તલ અને શાકભાજીનું વાવેતર નોંધાયું હતું. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમ્યાન પુષ્કળ વરસાદ પડ્યો હતો તેમજ ખાસ કરીને દિવાળી દરમ્યાન પણ જિલ્લામાં 2 થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેથી પોરબદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આવેલ સ્થાનિક જળાશયોમાં પૂરતા પાણીનો સ્ટોક ઉપલબ્ધ થયો હતો જેથી જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીફ પાક બાદ શિયાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે શિયાળું પાક તૈયાર થતા હવે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થયો છે.પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુલ 13361 હેકટરમાં બાજરી, મગ, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું તો ગત વર્ષ જિલ્લામાં 21 માર્ચ સુધીમાં 5620 હેકટરમાં બાજરી, મગ, તલ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વર્ષ 2026માં ઉનાળુ પાકનું વાવેતરબાજરી-325 હેકટર મગ-7750 હેકટર અડદ-125 હેકટર તલ-1190 હેકટર શાકભાજી-210 હેકટર ઘાસચારો-3726 હેકટર કુલ-13361 હેકટર

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

વાતાવરણ:લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું

માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં પવન ફૂંકાયો હતો. મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા નોંધાયું છે.માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. અને છૂટાછવાયા વરસાદી છાંયા પડ્યા હતા. પોરબંદરમાં ગઈકાલે બુધવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા રહ્યું હતું, જેની સામે ગુરુવારે મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે અને લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા રહ્યું છે. ભેજનું પ્રમાણ વધી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મનપાના 13 વોર્ડ અને જિલ્લા પંચાયતના 18 અને ત્રણેય તાલુકા પંચાયતની 54 સીટ પર તા.6થી ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયતમાં તા. 26 એપ્રિલના ચૂંટણી યોજાશે. પોરબંદર મહાનગર પાલિકાના 13 વોર્ડ તેમજ જિલ્લા પંચાયતની 18 અને પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવાવ તાલુકા પંચાયતની 16 અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 સીટ એટલેકે જિલ્લા પંચાયતની 18 અને ત્રણેય તાલુકા પંચાયતની 54 સીટ માટે તા.6 એપ્રિલથી ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. તા.11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારબાદ ઉમેદવારોના ફોર્મની ચકાસણી તા.13 એપ્રિલ અને ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ 15 એપ્રિલ છે. મતદાન તા. 26 એપ્રિલ તેમજ તા.28 એપ્રિલના મત ગણતરી યોજાશે. પોરબંદર મનપાના 13 વોર્ડની વાત કરીએ તો મનપા વિસ્તારમાં કુલ 166871 મતદારો છે, જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતના 234910 મતદારો, તાલુકા પંચાયતના 132109 મતદારો, રાણાવાવ તાલુકા પંચાયતના 47857 અને કુતિયાણા તાલુકા પંચાયતના 54944 મતદારો નોંધાયેલ છે.આચાર સંહિતાના અમલ તેમજ અધિકારી કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ બદલી કરી શકાશે નહિ. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહિ. મતદાન મથકની સંખ્યાપોરબંદર મનપા વિસ્તારના 13 વોર્ડમાં 191 મતદાન મથક રહેશે જ્યારે પોરબંદર તાલુકા પંચાયતમાં 22 મતદાર મંડળોની સંખ્યા અને 155 મતદાન મથક, રાણાવાવ તાલુકા પંચાયતમાં 16 મતદાર મંડળોની સંખ્યા અને 61 મતદાન મથક તેમજ કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 મતદાર મંડળોની સંખ્યા અને 71 મતદાન મથક રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

બેઠક:0 ટકા સર્વિસ ચાર્જ કરનારી કંપનીને કામ મળતા રૂા. 40 લાખનું નુકસાન થતું બચ્યું

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાથી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક કાર્યકારી અધ્યક્ષ સંજય મણવરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. જેમાં સૌથી નોંધપાત્ર નિર્ણય અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત ''મ્યુનિસિપલ બોન્ડ'' બહાર પાડવાનો છે. જૂનાગઢ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ટેક્ષેબલ બોન્ડ બહાર પાડીને વિકાસના કામો માટે ભંડોળ એકત્ર કરવાની દિશામાં કમિશ્નરને સત્તા સોંપવામાં આવી છે. આ બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, ડે.મેયર આકાશ કટારા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરની માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આઉટસોર્સિંગ દ્વારા મેનપાવર પૂરો પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં એલ-1તરીકે આવેલી અમદાવાદની એજન્સીના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નં. 14માં આરસીસી પાઈપલાઈન અને સિવિલ રિપેરિંગના કામોને પણ મંજૂરી આપી જનસુખાકારીના કામોને પ્રાથમિકતા અપાઈ છે. આ બેઠકમાં શાસકપક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી તેમજ સમિતિના સભ્યો વીનસ હદવાણી, નિલેશ પીઠીયા અને અન્ય કોર્પોરેટરઓ હાજર રહ્યા હતા. અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત અમલીકરણ થશે, એટલે કે આ યોજના હેઠળ કોઈ રકમ લેવી હોય તો બોન્ડ આપવા પડશે. શહેરના મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે નાણાકીય ભંડોળ ઉભું કરવામાં આ ખૂબ જ કામ આવશે. મનપા પ્રથમ વખત ટેક્ષેબલ બોન્ડ બહાર પાડશે, જે આર્થિક આત્મનિર્ભરતા તરફનું પગલું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

તસ્કરી:વેપારીના મકાનમાંથી રૂા. 3.17 લાખના સોનાના દાગીનાની ચોરી

મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂ. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદે ગત તારીખ 15 માર્ચના રોજ ઘરના હોલમાં લાકડાના સાદા કબાટમાં અગાઉથી સોનાનો ચેઇન, રૂપિયા 2 લાખની રોકડ પડી હતી અને સોનાનું કડુ, મંગળસૂત્ર, સોનાનો ચેઇન કબાટમાં રાખી પત્ની આઉટ સ્ટેટ ફરવા ગયા હતા. જ્યારે તેના માતા પિતા ઘરે હતા. 29 માર્ચના રોજ રાત્રિના ફરીને પરત આવ્યા હતા. જ્યારે 1લી એપ્રિલના રોજ સાંજે ઘરના હોલમાં રાખેલા લાકડાના કબાટનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. કબાટમાં તપાસ કરતા અંદર રાખેલું રૂપિયા 3,17,644ની કિંમતના 39.900 ગ્રામ વજનના સોનાના કડા ગાયબ હતા. તેઓ જ્યારે ફરવા ગયા ત્યારે સોનાના અન્ય દાગીના સાથે આ કડા પણ કબાટમાં સુરક્ષિત રાખ્યા હતા. તસ્કરોએ માત્ર આ કડાની તારીખ 15/03/2026 થી 01/04/2026 દરમિયાન ચોરી થયાની ફરિયાદના આધારે તપાસ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

વાતાવરણમાં પલટો:2 દિવસ કમોસમી વરસાદની આગાહી, તાપમાન ઘટીને 33.5 ડિગ્રી નોંધાયું

વાતાવરણમાં પલટો આવતા ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં મહત્તમ તાપમાન ઘટીને 33.5 ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ભરઉનાળે ગરમીની જગ્યાએ ઠંડક અનુભવાઈ હતી. આ વર્ષે ઉનાળાની ઋતુ ડામાડોળ થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆતને દિવસો વીતી જવા છતાં હજુ પણ આકરી ગરમી શરૂ થઈ નથી. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઉનાળાના દિવસોમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. ગુરુવારે સવારે જૂનાગઢ સહિતના વિસ્તારોના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયું હવામાન રહ્યું હતું. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે શરૂ થયેલી સવારે બાદ બપોરના મહત્તમ તાપમાન ઘટીને 33.5 ડિગ્રી નોંધાયું હતું. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા તારીખ 3 અને 4 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 એપ્રિલ બાદ ઉનાળાની શરૂઆતઆગામી 2-3 દિવસ તાપમાન 34 થી 35 ડીગ્રી વચ્ચે રહેશે અને સૌરાષ્ટ્રમાં હળવો કમોસમી વરસાદ થવાની આગાહી છે. જેની અસરથી તાપમાન આગામી 10 દિવસ સુધી સામાન્ય અને સામાન્ય કરતાં ઓછું રહેશે. ઉનાળાની શરૂઆત એપ્રિલના ત્રીજા સપ્તાહમાં એટલે કે 12 એપ્રિલ થી થશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર પહોંચવાની શક્યતા છે. > ધીમંત વઘાસીયા, હવામાન અધિકારી

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

કામગીરી:બદલીને આવેલ 6 પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપાયો

જૂનાગઢ જિલ્લામાં બદલીને આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપવામાં આવતા તેઓએ ફરજના શ્રીગણેશ કર્યા હતા. તાજેતરમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પીઆઇની આંતર જિલ્લા બદલી કરવામાં આવી હતી. જેની સાથે બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. ટ્રાન્સફર સાથે જૂનાગઢ જિલ્લામાં આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટરોને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી જુદા જુદા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ચેકિંગ:જેલની અંદર રહેલા કેદી સામે ત્રીજી ફરિયાદ, મોબાઇલ મળ્યો

​જૂનાગઢ જીલ્લા જેલમાં સિપાઇની ફરજ બજાવતા ભરત યુ. વાળાને જેલનો કાચા કામનો આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મૂળિયા જેલમાં અન-અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ બાતમી આધારે 2 એપ્રિલના રોજ મધરાત્રે જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા અયાન ઉર્ફે પાંચીયો સાથેના કેદી ઈમ્તિયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ હિંગોરજા તથા નદીમ ઉર્ફે નીક્કી મુન્નાભાઈ ચંદાણીની સલામતી વિભાગની બેરેક નંબર 11માં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બેરેકમાં રહેલા કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીનભાઈ મુળીયાના બિસ્તરની તલાશી લેતા તેના તકિયા નીચેથી કી-પેડ વાળો ફોન મળી આવ્યો હતો. આ ફોનમાં સિમકાર્ડ પણ કાર્યરત હતું. જેની સાથે વિસ્તારની બાજુમાં પડેલી બ્લુ કલરની પ્લાસ્ટિકની ડબ્બી ચેક કરતા તેમાંથી લાલ કલરના કેબલ સાથેનું સફેદ કલરનું એડેપ્ટર અને દરેકની બંધ ટ્યુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ ટુ પીન હોલ્ડર પણ મળી આવ્યું હતું. આ અંગે ફરિયાદ થઇ છે. અગાઉ જેલમાં તમાકુ બાબતે ફરિયાદ અગાઉ પણ આ કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. એ પછી જેલ બહારથી બીડી, તમાકુ, ગુટખા સહિતની પ્રતિબંધિત વસ્તુઓનું પોટલું મોપેડ ચાલકે જેલની અંદર ફેંક્યુ હતુ આ મોપેડ આ કેદીના નામનુ હોવાથી ફરિયાદ થઇ હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

કાર્યવાહી:જામનગરમાં આયુ.યુનિવર્સિટી કેમ્પસમાં મદદનીશ ઈજનેર 4.52 લાખની લાંચ લેતાં ACBના છટકામાં

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ચેમ્બર સેન્ટ્રલ પબ્લીક ર્વક ડીપાર્ટમેન્ટની કચેરીમાં ઈલેક્ટ્રીક શાખામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીના પોતાની ફરજ પર આજે હતા. જામનગરના લાખાબાવળ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર આવેલી ગુજરાત આયુર્વેદ યુનિર્વસિટી તથા ડબલ્યુ.એચ.ઓ.દ્વારા સંયુક્તમાં દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રીકની કામગીરીનો અને દેવભુમિ દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ.મરી તાલીમ કેન્દ્રના ઈલેક્ટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટર ફરિયાદીને મળ્યો હતો. જેના બીલ પાસ કરાવવા માટે ફરિયાદી પાસેથી રૂ.4.52 લાખની લાંચ માંગવામાં આવી હતી. જે લાંચ કોન્ટ્રાકટરના ભાગીદાર આપવા માટે તૈયાર ન હતા. જેથી તેમણે જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક જે.ડી.મેવાડાની સુચનાથી એસીબી પીઆઈ આર.એન.વિરાણીએ ટીમના બલદેવસિંહ વાઘેલા સહિતના સ્ટાફ સાથે આજે બપોર બાદ ગુજરાત આયુ.યુનિ.ના કેમ્પસમાં કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીના મિત્ર પાસેથી રૂ.4.52 લાખની લાંચ સ્વીકારી હતી અને ફોનમાં ફરિયાદી સાથે રકમ મળ્યાની કબુલાત કરતા જ એસીબી ટીમ પહોંચી ગઈ હતી અને રંગેહાથ ઝડપી લીધો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

હુકમ:ભુજિયા કોઠાના રિસ્ટોરેશનમાં નિયમોનું ઉલ્લઘંન, દિલ્હી NMAનો તપાસનો આદેશ

જામનગરના ઐતિહાસિક ધોરહર ભુજિયો કોઠોના થયેલા રિસ્ટોરેશન કાર્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તજજ્ઞો અને વારસા પ્રેમીઓના મતે, આ રિસ્ટોરેશન પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958ના મૂળભૂત સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જે અંગે ઉઠેલી ફરિયાદોના આધારે દિલ્હીની નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટી (NMA)એ તપાસના આદેશ આપ્યા છે. શહેરના ભુજીયા કોઠાના શિલ્પોને રિસ્ટોર કરવાને બદલે તેમની આસપાસ નવી દિવાલો ચણીને તેમને અડધા ઢાંકી દેવામાં આવ્યા હોય, જે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સિધ્ધાંતોની વિરૂધ્ધ છે. જ્યારે સમગ્ર સ્થાપત્યને નવો ઓપ આપવામાં આવ્યો, ત્યારે આ મહત્વના શિલ્પોને કેમ રિસ્ટોર કરવામાં આવ્યા નથી. તેમજ ઘણા શિલ્પોને જર્જરિત હાલતમાં જ કેમ છોડી દેવાયા છે. આનાથી પથ્થરમાં ભેજ ઉતરી શકે છે, જે લાંબે ગાળે આ અમૂલ્ય વારસાનો નાશ કરશે. પુરાતત્વીય નિયમો મુજબ રિસ્ટોરેશનનો અર્થ જેવું હતું તેવું જાળવવું થાય છે, નહીં કે તેે નવું બનાવવું. જામનગરના આ સ્મારકમાં સૌંર્દયના નામે ઈતિહાસના મૂળ પુરાવાઓ અને શિલ્પોની અવગણના કરવામાં આવી છે. જે અંગે જામનગરમાંથી ફરિયાદો ઉઠી હતી. આ સ્મારક પર થઈ રહેલા બિન-શાસ્ત્રીય કામ પ્રાચીન શિલ્પોને ચણતરમાં દબાવી દેવા અને સ્મારકની મૂળ ઓળખ સમાન સેન્ડસ્ટોન (પથ્થર) પર આધુનિક ટાઈલ્સના બિનઅધિકૃત ઉપયોગ અંગે ભુજિયા કોઠાના વિવાદાસ્પદ રિનોવેશન અંગે ચાલી રહેલી ચર્ચામાં કેન્દ્ર સરકાર તરફથી વળાંક આવ્યો છે. મનપા વિભાગે હવે નવી દિલ્હીને જવાબ આપવો પડશે. દિવાલ પર પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું...! ઈતિહાસ સાથે છેડછાડ : આધુનિક ચાઈનીઝ શૈલીના સિંહનું ચિત્રણ સમારક પર જે પાંખવાળા સિંહનું ચિત્ર દોરવામાં આવ્યું છે, તે ભારતીય કે જામનગરની કલાશૈલી સાથે કોઈ લેવાદેવા ધરાવતું નથી. આ એક આધુનિક ડિજિટલ ગ્રાફિક છે. જે પૂર્વ એશિયન (ચાઈનીઝ) કલાથી પ્રભાવિત છે. પ્રાચીન ભારતીય વ્યાલ કે ગજસિંહની શૈલીને બદલે આવી આધુનિક અને વિદેશી શૈલીના ચિત્રો દોરવા એ ઈતિહાસનું ખોટું નિરૂપણ છે. નકલી બ્રિક પેટર્ન દ્વારા અસલી સ્થાપત્યનું આવરણ ભુજિયો કોઠો તેના વિશિષ્ટ પથ્થર અને ખરબચડા ટેક્સચર માટે જાણીતો હતો, જે 400 વર્ષનો ઈતિહાસ દર્શાવતો હતો. રિસ્ટોરેશનમાં આ અસલી પથ્થરને છુપાવી તેના પર આધુનિક બ્રિક સ્ટાઈલ પેટર્ન (નકલી ઈંટો જેવી ભાત) લગાવી દેવામાં આવી છે. કાયદાકીય રીતે, સંરક્ષિત સ્મારકની મૂળ બાહ્ય સપાટીમાં ફેરફાર કરવોએ ગેરકાયદેસર છે. આ ફેરફાર સ્મારકને ઐતિહાસિક ઈમારત મટાડીને એક આધુનિક થીમ પાર્ક જેવો દેખાવ આપે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ધર્મોત્સવ:છોટીકાશી જામનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, મંદિરો જય શ્રી રામના નારાથી ગુંજ્યા

છોટીકાશી જામનગરમાં હનુમાન જયંતિ નિમિતે સવારથી હનુમાન મંદીરોમાં જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા. તો વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદીરે ભવ્ય આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ હતી. તો ફૂલિયા હનુમાન મંદિરના પુજારીએ સિંદરપાન કર્યુ હતું. જામનગરમાં હનુમાન જયંતિની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા વિશ્વ વિખ્યાત બાલાહનુમાન મંદીર, દાંડીયા હનુમાન, ફુલિયા હનુમાન દાદા, લીંબડીયા હનુમાન દાદા સહિતના જુદા જુદા નામોથી બિરાજમાન હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી હનુમાનથી દાદાના મંદીરોમાં ભક્તો ઉમટ્યા હતા. જેમાં શહેરના બાલા હનુમાન મંદીરમાં મંગળા આરતીમાં ભક્તોજનો ઉપટ્યા હતા. તો રામધુન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ફુલી્યા હનુમાન દાદાના મંદિરે આજે હનુમાન જયંતિના દિને પુજારી દ્વારા સિંદુરાપા કરવાની પરંપરા છે., જે આ જે પણ નિભાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી પરંપરા જાળવી રાખી હતી. તો શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હનુમાન દાદાના મંદિરો ખાતે મહાપ્રસાદના પણ આયોજન કરવામાં આવ્યા હતા. તો મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજનો કરવામાં આવ્યા હતા. તો વિશ્વ વિખ્યાત બાલા હનુમાનજીના મંદિરે ચાલતી અખંડ રામધુનમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

હવામાન:અમરેલીમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની આગાહી

અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડીગ્રી સુધી નોંધાયું હતું. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા જેટલું ઊંચું નોંધાતા ઉકળાટનો અનુભવ પણ લોકો કરી રહ્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 4.2 કિલોમીટર રહી હતી. જેના કારણે વાતાવરણમાં થોડો ઠંડકનો અહેસાસ થયો હતો. અમરેલી જિલ્લામાં આજે આકાશમાં કાળા ડીબાંગ વાદળો દેખાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. આગામી દિવસોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. 15 દિવસ પૂર્વે અમરેલી પંથકમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. જેના કારણે કેરીના પાકને નુકશાન થયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

વિકાસ કાર્યો:બગસરાના ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત‎

બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકાર દ્વારા ડી.એમ.એફ. યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 3 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. આ ફંડના ઉપયોગથી ગામના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવા માટે માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત મોટા મુંજીયાસર ગામે પાણીનો કૂવો અને પાણીની પાઇપલાઇન માટે અંદાજિત રૂ. 35 લાખ, બ્લોક રોડ માટે રૂ. 20 લાખ તથા ગટર લાઇન માટે રૂ. 15 લાખ તેમજ અમરેલી જિલ્લા પંચાયત દ્વારા ડેમ માટે ફાળવેલ અંદાજિત રૂ. 12 લાખના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાના મુંજીયાસર ગામે અંદાજિત રૂ. 83.60 લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક શાળા અને રૂ. 36 લાખના ખર્ચે બનાવાયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે શીલાણા ગામે અંદાજિત રૂ. 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડિયા, મનોજભાઈ મહીડા, પ્રદીપભાઈ ભાખર, હરેશભાઈ ખેતાણી તથા દિલીપભાઈ ગોધાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ફરિયાદ:બાબરામાં નોટિસ આપવા ગયેલા પોલીસ કર્મચારી ઉપર સ્થાનિક શખ્સનો હુમલો

બાબરા શહેરના આડી શેરી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે, નોટીસ બજાવવા ગયેલા એક પોલીસ કર્મચારીને મારમારી ઇજાગ્રસ્ત કર્યાની રાવ આવી છે. બાબરા શહેર વિસ્તારમાં કાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. બાબરામાં રહેતા અને પોલીસ કર્મચારી શીવાભાઇ કેશુભાઇ મકવાણા (ઉં.વ.41) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કે, બાબરામા જ રહેતો શ્યામ હિંમતભાઇ તેરૈયાને એક ગુનાના સંદર્ભે નોટિસ આપવા માટે પોલીસ કર્મચારી અનોપસિંહ ગગજીભાઇ સોલંકી ગયા હતા. જે વાત તેઓને નહીં ગમતા કર્મચારીને આપશબ્દો બોલી માથાકુટ કરી તેમને મારવા દોડ્યો હતો. આ અંગે જાણ થતા શીવાભાઇ મકવાણા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે તેમને પણ અપશબ્દો બોલી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને બંને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શીવાભાઇ મકવાણાને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે બાબરા પોલીસ દ્વારા શ્યામ તેરૈયા વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:5 ગામ ભાંગીને બનેલી ધારી નગરપાલિકાની‎પ્રથમ ચૂંટણીમાં જ ત્રિપાંખિયો જંગ જામશે‎

અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે પૈકી ધારી નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાશે. થોડા સમય પહેલા 5 ગામો મર્જ કરી ધારી નગરપાલિકા બનાવવામાં આવી હતી અને અહીં પ્રથમ ચૂંટણીમાં જ ત્રીપાંખીયા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ ધારીમાં મોડી રાત સુધી ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલુ હતી. ધારી ઉપરાંત પ્રેમપરા, વેકરીયાપરા, હરિપરા અને નવાપરા એમ પાંચ ગ્રામ પંચાયતોને મેળવી અહીં નગરપાલિકાનું સર્જન કરવામાં આવ્યું છે.નવી નગરપાલિકાની રચના થતા આ પાંચેય ગ્રામ પંચાયતનું અસ્તિત્વ પૂર્ણ થયું છે. વળી આ પાંચેય ગ્રામ પંચાયતોના કારણે ધારી તાલુકા પંચાયતમાં હવે બે સીટ ઘટી ગઈ છે. અગાઉ તાલુકા પંચાયતની 18 સીટ હતી. હવે 16 સીટ બચી છે. તાલુકા પંચાયતના કુલ મતદારોની સંખ્યા પણ ઘટી છે. નવી ધારી નગરપાલિકામાં કુલ 7 વોર્ડની રચના કરવામાં આવી છે. શહેરના 23072 મતદારો મળી 28 સભ્યોને ચૂટી કાઢશે. પ્રથમ વખતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવાઈ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ લેવાઈ હતી. જ્યારે આજે સાંજે માયાબેન કોડનાની સહિત ત્રણ નિરીક્ષક દ્વારા મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચલાવાઈ હતી. અહીં ખાંભા વિસ્તારની સેન્સ પ્રક્રિયા આવતીકાલે પણ શરૂ રહેશે. ધારી નગરપાલિકામાં પ્રથમ ચૂંટણીમાં જ ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ બળ લગાવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નારાજ લોકો પર પણ આમ આદમી પાર્ટીની મીટ છે. આ વિસ્તારમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીએ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ 4 સીટો જીતી હતી. તો બીજી તરફ ભાજપના બે જુથ હોય ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં ભાજપની બે પેનલો ઉભી રહી હતી. જેને પગલે સત્તાતો ભાજપના હાથમાં આવી હતી પણ જુથવાદ પણ સામે આવી ગયો હતો. એક પરિવારના 5 એ ટિકીટ માંગીધારીમાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન વેકરીયાપરા વિસ્તારમાંથી એક જ ભુવા પરિવારના પાંચ પાંચ સભ્યોએ ટીકીટ માંગી હતી. પરિવારમાં એકથી વધુ ટીકીટ મંગાઈ હોય તેવા અનેક મામલા જોવા મળ્યા છે. અમરેલી પાલિકા, અમરેલી-કુંકાવાવ તા. પંચાયત માટે 450 દાવેદાર અમરેલી પાલિકા ઉપરાંત અમરેલી- કુંકાવાવ તાલુકા પંચાયત તથા આ વિસ્તારની જિ. પંચાયતની 4 સીટ માટે ભાજપ દ્વારા સેન્સ લેવાતા 450 દાવેદારે ફોર્મ ભરી પોતાની દાવેદારી રજુ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

આયોજન:રાજુલા અને જાફરાબાદમાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર - ઠેર કાર્યક્રમો

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં હનુમાન જયંતિના અવસરે ભક્તિ અને આસ્થા નો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અનેક સ્થળોએ ભવ્ય મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકાના ભંડારિયા ગામે આવેલ પ્રસિદ્ધ ભંડારિયા હનુમાન મંદિર ખાતે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભક્તો વહેલી સવારે પગપાળા દર્શન માટે નીકળ્યા હતા. આશરે આઠ કિલોમીટર સુધી ભક્તો પગપાળા ચાલી હનુમાન દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. રાજુલા શહેરના મુખ્ય બજારમાં આવેલ કેસરીનંદન હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી વેપારીઓ અને સ્થાનિક ભક્તો મંદિરે પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસાનું પાઠ કરી દાદાની આરાધના કરી હતી. બપોરે ભવ્ય મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત સનાતન બાપુ અને સેવકગણ દ્વારા મંદિરને સુંદર કલાત્મક શણગારથી સજાવવામાં આવ્યું હતું. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જાફરાબાદ ખાતે આવેલી તપોવન ટેકરી પર સ્થિત હનુમાન મંદિર ખાતે પણ વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. તપસી બાપુ દ્વારા સ્થાપિત આ પવિત્ર સ્થળે સ્થાપિત આશરે 15 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. તાજેતરમાં રામપુરાના કારીગરો દ્વારા અહીં કલાત્મક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના દિવસે જાફરાબાદથી મોટી સંખ્યામાં ખારવા સમાજ, કોળી સમાજ તથા વેપારીઓ સહિતના ભક્તો વહેલી સવારે પગપાળા તપોવન ટેકરી પર પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am

કરુણ અકસ્માતમાં એક જ પરિવારનાં 4નાં મોત‎:દેડિયાપાડા ગંગાપુર પાસે વાને બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો વાનના ચાલકે બાઇક સવાર પરિવારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળક અને 15 વર્ષીય કિશોરી સહિત કુલ 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર વાન ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચીકદા તાલુકાના ઓલગામ સ્થિત મંદિર ફળિયામાં રહેતા 67 વર્ષીય હાવલાભાઈ હથિયાભાઈ વસાવા બાઇક પર પરિવારના સભ્યોને લઈને ગંગાપુર દવાખાને જઈ રહ્યા હતા. તેમની સાથે બાઇક પર ઉમરપાડાના રૂઢિગવાણ ગામના બાજુબેન રાકેશભાઈ વસાવા, 15 વર્ષીય સુહાની વસાવા અને દોઢ વર્ષનો માસૂમ વિરમ વસાવા સવાર હતા. ગંગાપુર પાસે ઇકો વાને ટક્કર મારતા ચારેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાવલાભાઈ, બાજુબેન અને માસૂમ વિરમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 15 વર્ષીય સુહાનીને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે પણ જીવ ગુમાવ્યો હતો. આમ, વાન ચાલકની બેદરકારીએ હસતા-રમતા પરિવારના ચાર સભ્યોનો ભોગ લીધો છે. હાલ ડેડીયાપાડા પોલીસે વાન ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 am