SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે છઠ્ઠી ઉજવી:6 દિવસીય બાળકીનું નામ 'હસ્તી' રખાયું, પોલીસ કમિશનરે પિતાતુલ્ય બની નામકરણ વિધિ કરી

કહેવાય છે કે પોલીસ હંમેશા કડક હોય છે, પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે. સુરતના દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'છઠ્ઠી' કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે. શું હતો સમગ્ર કિસ્સો?આશરે છ દિવસ પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનેતાએ કયા સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય છે, પરંતુ સુરત પોલીસને જાણ થતા જ માનવતા મહેકી ઉઠી હતી. ડીંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસ જ બની પરિવાર: 'હસ્તી'નું નામકરણસામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી. બાળકી આજે જ્યારે છ દિવસની થઈ, ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની નામાંકરણ વિધિ (છઠ્ઠી)નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. ડીંડોલી પોલીસની ટીમની બાળકી પર દેખરેખડીંડોલી પોલીસ મથકના પી.આઈ. આર.જે. ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી. નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું, તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડાં ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા. બાળકીની માતાની શોધખોળ હાથ ધરવામાં આવીપોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી અદા કરવી એ પણ પોલીસની ફરજ છે. એક તરફ પોલીસ 'હસ્તી'ની સારસંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રઝળતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે. 'હસ્તી' નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે. આ સાથે એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:05 am

હાઈફાઈ ગાર્ડનને પણ આંટી જાય એવો આઈકોનિક રોડ બનશે:વાહનચાલકો, રસ્તા પર ચાલતા લોકો અને દિવ્યાંગોને ધ્યાને રાખી અમદાવાદ-ગાંધીનગરને જોડતો રોડ તૈયાર કરાશે

અમદાવાદમાં ગાંધીનગરને જોડતો એક વૈશ્વિક કક્ષાનો આઈકોનિક રોડ બની રહ્યો છે, જે પ્રદૂષણથી મુક્ત અને ટ્રાફિકથી મુક્ત તો હશે જ. તેની સાથોસાથ હાઈફાઈ ગાર્ડનને પણ ટક્કર આપે એવી થીમ સાથે તૈયાર કરાશે. આ આઈકોનિક રોડને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવામાં આવશે, જે શહેરી વિકાસનું પણ અનોખું ઉદાહરણ બનશે. અમદાવાદના ચાંદખેડાના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો 3.5 કિ.મી.નો રોડ જોગિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, ફૂડ કિઓસ્ક, પ્લાઝા અને ડિસેબલ-ફ્રેન્ડલી સુવિધાઓ સાથે અમદાવાદ-ગાંધીનગરને જોડશે. જો આ રોડની વિશેષતાની વાત કરીએ તો તેને ઝીરો પોલ્યુશન અને ઝીરો ટ્રાફિકની નીતિથી જીઓમેટ્રિક ડિઝાઇન સાથે ડેવલોપ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ રોડ ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે. 81,500 ચો.મી.માં ગ્રીનરી અને સ્કલ્પચર્સ સાથે આઈકોનિક રોડ તૈયાર કરાશેઅમદાવાદમાં વિકાસની નવી ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક રોડ એક અભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રોજેક્ટ છે, જેમાં રાઈટ ઓફ વે 90 મીટર અને 108 મીટરની વિશાળ પહોળાઈમાં વિકસાવવામાં આવશે. આ રોડના કેન્દ્રમાં 4 મીટર પહોળી સ્કલ્પ્ચર વૃક્ષો અને પ્લાન્ટેશન સાથેની લીલી પટ્ટી, બંને બાજુએ બફર ઝોનમાં ગ્રીન પેચ અને હાલના 1200 વૃક્ષોની સંપૂર્ણ જાળવણી સાથે 81,500 ચોરસ મીટર વિસ્તારમાં વ્યાપક પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવશે. પરિવારથી લઈને દિવ્યાંગો સરળતાથી ચાલી શકે એવી રોડની ડિઝાઈનઆ ઉપરાંત 3.5 મીટર પહોળો જોગિંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા, ફૂડ કિઓસ્ક, પ્લાઝા, મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ, સર્વિસ લેન તરફ બંને બાજુ 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, 7 મીટર પહોળી સર્વિસ લેન, પ્રોપર્ટી લાઇન સાથે ઓછામાં ઓછી 2 મીટરની ફૂટપાથ (દર 5 મીટરે વૃક્ષો/પ્લાન્ટેશન), જંકશન ઇમ્પ્રુવમેન્ટ, થીમ આધારિત રોડ ડિઝાઇન, આધુનિક લાઇટિંગ, ડિસેબલ વ્યક્તિઓને અનુકૂળ ડિઝાઇન, સાઇન બોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર અને હોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે આ રોડ શહેરનું નવું આઇકોન બની રહ્યો છે, જે પર્યાવરણ, આરોગ્ય, મનોરંજન અને ટકાઉ વિકાસનું અનોખું સંયોજન રજૂ કરશે. વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી ટ્રાફિક અને પ્રદૂષણથી મુક્ત રોડ બનાવાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ આધુનિક અને વૈશ્વિક કક્ષાના બને તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. ચાંદખેડાના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના અમદાવાદ અને ગાંધીનગરને જોડતા 3.6 કિલોમીટરના રોડને આધુનિક વૈશ્વિક કક્ષાનો રોડ બનાવવામાં આવશે. પ્રદૂષણમુક્ત રોડ બનાવવામાં આવનાર છે. બંને તરફ 14.75 મીટરનો ફોર લેન રોડ બનાવવામાં આવશે. ઝડપથી અને ટ્રાફિક મુક્ત બને તેના માટે ફોરલેન રોડ ઉપરાંત સર્વિસ લેન રોડ પણ બનાવવામાં આવનાર છે. સામાન્ય નાગરિકો માટે જોગિંગ ટ્રેક અને સાયકલ ટ્રેકની પણ સુવિધાઆઇકોનિક રોડ ઉપર લોકો ચાલી શકે તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો બેસી શકે તેના માટે બફર ઝોન બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ ઉપર સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવનાર છે. બે મીટરનો સાયકલ ટ્રેક અલગથી તૈયાર કરવામાં આવશે. જેથી સવારે અને સાંજે લોકો આ રોડ ઉપર સાયકલ ચલાવી શકશે. રોડ ઉપર ગ્રીનરી જળવાઈ રહે તેના માટે 1200 જેટલા વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:05 am

સુરત મોલમાં ડ્રગ્સ ફેક્ટરી મામલે લેબ માલિકની 8 કલાક પૂછપરછ:પોલીસે તપાસ દરમિયાન મોબાઈલ ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યો

સુરત SOG પોલીસ દ્વારા ગત મંગળવારે પુણા કેનાલ રોડ પોલારિસ શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલ ડીક્રિયા ફુડ ટેસ્ટિંગ લેબમાં દરોડા પાડી લેબની આડમાં ધમધમતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ડ્રગ્સના આ રેકેટમાં લેબ સંચાલિકા ઈશા અનગણની 8 કલાકથી વધુ મેરેથોન પૂછપરછ કરી હતી. હવે SOGએ ઈશાનો મોબાઈલ ફોન કબજે લઈ FSLમાં મોકલ્યો હતો. જેમાં મુખ્ય આરોપી જનક સાથેની વાતો સહિત અન્ય મુદ્દાઓ મામલે ચોંકાવનારા ખુલાસા થશે એવી પ્રબળ શક્યતા છે. ઈશાની ડ્રગ્સ રેકેટમાં સંડોવણી સામે આવશે તો કડક પગલાં લેવાશેપોલીસે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ કરતાં આ રેકેટમાં લેબ સંચાલિકા ઈશા અનગણની ભૂમિકા સામે સવાલો ઉભા થયા હતા. જેથી, SOGની તપાસના ધમધમાટ વચ્ચે પોલીસે ઈશાની 8 કલાક મેરેથોન પૂછપરછમાં તેની લેબના લાયસન્સ, ભાડા કરાર સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ બાબતે તથા જનક જાગાણીના સંબંધો બાબતે પૂછપરછ હાથ ધરાઇ હતી. જો ઈશાના મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સના આ રેકેટમાં કોઈ સંડોવણી બહાર આવશે તો આગળ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીઓ વચ્ચેની વાતચીત અને પૈસાના ટ્રાન્ઝેક્શનના સ્ક્રિનશોટ્સ તપાસમાં મળ્યાઆ મામલે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, આરોપી બ્રિજેશ ભાલોડિયા જે એમ.ડી. બનાવવાનું કામ કરતો હતો અને 'એથર' કંપનીનો એ કર્મચારી હતો. આરોપીઓએ એકબીજા વચ્ચે ટેલિગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશનમાં વાતચીત કરી હતી, જે અંગેના સ્ક્રીનશોટ મેળવવામાં આવ્યા છે. જીલ ઠુમ્મર અને ખુશાલ રાણપરિયા, આ બંને વચ્ચેના 1,12,000 આસપાસના પૈસાના વ્યવહારના સ્ક્રીનશોટ મળ્યા છે તેમજ આરોપી જીલ ઠુમ્મર અને આરોપી ભરત ઉર્ફે ભાણા, એ બંને વચ્ચેના ગૂગલ પેના વ્યવહારોના ટોટલ 46,600ના સ્ક્રીનશોટ મેળવવામાં આવ્યા છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ડ્રગ્સ વેચાણ માટે કરતાસીનિયર કેમિસ્ટ બ્રિજેશ 'એથર' કંપનીનો કર્મચારી હોવાથી કંપની પાસેથી અલગ-અલગ વિગતો જેવી કે એનું એમ્પ્લોયમેન્ટ રજીસ્ટર, એનું આઈ-કાર્ડ, ક્યાથી નોકરી કરતો હતો, એની સાથે કોણ-કોણ કામ કરતું હતું તથા તમામ સીસીટીવી ફૂટેજ - આ બધું માંગવામાં આવ્યું છે. લંડન સ્થિત વોન્ટેડ આરોપી જનક જાગાણી તથા આરોપી ખુશાલ જે મોબાઈલ ફોનનો ઉપયોગ ડ્રગ્સ વેચાણ માટે કરતા હતા તે મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આમ, ઉપરોક્ત તપાસ ચાલુ છે. શું હતી ઘટના?સુરતના પરવટ પાટિયા પુણા કેનાલ રોડ પર આવેલ પોલારિસ શોપિંગ સેન્ટરમાં ડિક્રિયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરીની આડમાં ધમધમતી ડ્રગ્સ ફેકટરી ઝડપી પાડી લેબમાં ડ્રગ્સ બનાવનાર આરોપી એથર કંપનીમાં સીનીયર કેમીસ્ટ બ્રીજેશ વ્રજલાલ ભાલોડીયા અને ડ્રગ્સનું સપ્લાય કરનાર આરોપી બી.ટેક. ઇલેક્ટ્રીકલ ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા અને એમ્બ્રોઇડરી વર્કર ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠીયાની ધરપકડ કરી પોલીસે સ્થળ પરથી 16.950 ગ્રામ તૈયાર ડ્રગ્સ અને તેને બનાવમાં માટે વપરાતી સાધન સામગ્રી મળી આશરે કુલ રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓને જેલ ભેગા કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 11:17 pm

હવે ગાંધીનગરના નવા વિસ્તારોમાં પણ રોગચાળો પ્રસર્યો:મહાનગર પાલિકા દ્વારા 82 હજાર ઘરોનો સર્વે છતાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, આજે ટાઈફોઈડના વધુ 10 દર્દી નોંધાયા

ગાંધીનગર શહેરને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના દાવા સાથે કરોડોના ખર્ચે નાખવામાં આવેલી નવી પાઈપલાઈન હવે નગરજનો માટે શાપિત સાબિત થઈ રહી છે. બે મહિનાના લાંબા ટ્રાયલ રન પછી પણ નવી લાઈનોમાં લિકેજની સમસ્યા ઠેરની ઠેર છે. જેના પરિણામે શહેરમાં ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની બુમરાણ ઉઠી છે. તોય આજે રવિવારે વધુ 10 નવા કેસ નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. રવિવારે ટાઈફોઈડના વધુ 10 પોઝિટવ કેસ નોંધાયાગાંધીનગરને 24 કલાક શુદ્ધ પાણી આપવાના દાવા સાથે જે નવી પાઈપલાઈન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હવે પાઇપલાઇનો શહેર માટે જોખમી સાબિત થઈ રહી છે. તંત્ર ધ્વારા સ્માર્ટ રીતે લાંબા ટ્રાયલ રન કરાયા છતાં લિકેજની સમસ્યા યથાવત છે. પરિણામે શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે રવિવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ડબલ સેન્ચુરીની વટાવી જતાં તંત્રની વધુ એક બેદરકારી ખુલ્લી પડી છે. મનપાની તપાસમાં 5 નવા લીકેજ મળી આવ્યાગાંધીનગર માટે આશીર્વાદને બદલે શાપિત સાબિત થઈ રહેલી સ્માર્ટ સિટીની કામગીરીએ નગરજનોને હોસ્પિટલોમાં દોડતા કરી દીધા છે. તંત્ર દ્વારા બિછાવેલી નવી પાઈપલાઈનનો ઉપયોગ શરૂ થતા જ ગટરના દૂષિત પાણી મિક્સ થવાની ઘટનાઓ વધી છે. આજે મનપાના સત્તાવાર આંકડા મુજબ વધુ 5 નવા લિકેજ મળી આવ્યા છે. સેકટર-24, 26, 28 અને આદિવાડા બાદ હવે ધીમે ધીમે અન્ય સેકટરોમાં પણ ટાઈફોઈડના કેસ દેખાઈ રહ્યા છે. હાલમાં કુલ 70 દર્દીઓ સારવાર હેઠળ હોવાનો મનપાનો દાવો છે. 85 ટીમો દ્વારા 7011 ઘરોનો સર્વે કરવામાં આવ્યોત્યારે શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય શાખાની 85 ટીમોએ આજે 7011 ઘરોમાં સર્વે કરી ક્લોરિન ટેબલેટ અને ORS પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર લિકેજ શોધવા માટે વિશેષ ટીમો બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોની ફરિયાદો છતાં દિવસો સુધી લિકેજ રિપેર કરવામાં આવતા નથી. સ્થાનિકોમાં ભારે રોષ છે કારણ કે મૂળ સમસ્યા લિકેજ રિપેર કરવામાં એન્જિનિયરિંગ વિભાગ નિષ્ફળ રહ્યું છે. લોકોના આક્ષેપ છેકે વારંવારની ફરિયાદો છતાં રિપેરિંગ કામ થતું નથી. તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. નવી પાઈપલાઈન અને જૂની સમસ્યાની વચ્ચે ગટરના દૂષિત પાણી મિક્સ થવાની ઘટનાઓ વધી છે.જેના કારણે શુદ્ધ પાણીમાં ગંદકી ભળી રહી છે.આરોગ્ય શાખાની ટીમો સર્વે માટે ઘરે-ઘરે ફરી રહી છે ત્યારે પાઈપલાઈનના લિકેજ શોધવા માટે વિશેષ ટીમો ઊભી કરાઈ નહી હોવાના પણ આક્ષેપો છે .નગરજનો દ્વારા લિકેજની ફરિયાદ કરવામાં આવે ત્યારે સેનિટેશન અને એન્જિનિયરિંગની ટીમ દોડતી થાય છે, પરંતુ ઘણી વાર નાગરિકો દ્વારા દિવસો સુધી ફરિયાદ કરવા છતાં લિકેજ દૂર કરવા કામગીરી હાથ ધરાતી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે નવી પાઈપલાઈનમાં લિકેજ સતત મળી રહ્યા છે. શરૂઆતમાં માત્ર સેકટર-24, સેકટર-26, સેકટર-28 અને આદિવાડામાં ટાઈફોઈડના કેસ મળ્યા હતા. ત્યારે 24 કલાક પાણી પુરવઠો શરૂ થયા પછી નવા સેકટરોમાં પણ ટાઈફોઈડના દર્દીઓ નોંધાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 10:57 pm

BIG NEWS: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા

Pakistani drone in LoC : પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમામાંથી પરત ફરી ગઈ હતી. હાલ ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર 11 Jan 2026 10:30 pm

B.Com ટીમે શ્રી શરદ શાહ કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી:ગોધરામાં BCA ને હરાવી ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવ્યો

ગોધરાના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શ્રી શરદ શાહ કોલેજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં B.Com ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચમાં B.Com ટીમે BCA ટીમને હરાવી હતી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો હતો. આ સ્પર્ધામાં કોલેજના B.Com, BCA અને MSW વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ઘણી રોમાંચક મેચો રમાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની અંતિમ મેચ B.Com અને BCA ટીમો વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મુકાબલો અત્યંત સ્પર્ધાત્મક રહ્યો હતો. જોકે, B.Com ટીમે ઉત્કૃષ્ટ બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગના પ્રદર્શન સાથે BCA ટીમને હરાવી વિજય મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:50 pm

ડાંગ LCBએ 'ચામઠા ગેંગ'ના બે આરોપીને પકડ્યા:અઢી વર્ષથી નાસતા ફરતા હતા, રાજસ્થાનથી ઝડપાયા

ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ અઢી વર્ષથી નાસતા ફરતા આંતરરાજ્ય 'ચામઠા ગેંગ'ના બે વોન્ટેડ આરોપીઓને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ બંને આરોપીઓ ગુજરાત રાજ્યના ત્રણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરત વિભાગના મહાનિર્દેશક અને ડાંગ-આહવા જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ, LCB ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે મળેલી બાતમીના આધારે રાજસ્થાનના કાળ્યા ગામ વિસ્તારમાં રેકી હાથ ધરી હતી. આ દરમિયાન, શંકાસ્પદ આરોપીઓ ડબલ સવારી મોટરસાયકલ પર નાસવાનો પ્રયાસ કરતા LCB ટીમે આશરે 20 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને તેમને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં લાલજી શિવાજીભાઈ નટ (રહે. કાળ્યા ગામ, તા. સાબલા, જી. ડુંગરપુર, રાજસ્થાન) અને સુદર્શન ઉર્ફે સુરેશ ચંદુભાઈ ચામઠા (ઉંમર 41, રહે. ગરાડુ, ઠળીયા દેવળીયા ફળીયા, તા. ઝાલોદ, જી. દાહોદ) નો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન, બંને આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 28,500/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુ પૂછપરછમાં, બંને આરોપીઓએ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉપરાંત પાટણ જિલ્લાના ચાણસ્મા અને ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ તમામ ગુનાઓમાં આગળની કાર્યવાહી માટે બંને આરોપીઓને સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને પાટણ તથા ગાંધીનગર જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીમાં ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:03 pm

ભિલોડા ST ડેપો મેનેજર દારૂની મહેફિલ માણતા ઝડપાયા:જે.આર. બૂજ સ્ટાફ ક્વાર્ટરમાંથી પકડાયા, પોલીસે કાર્યવાહી કરી

ભિલોડા એસટી ડેપો મેનેજર જે.આર. બૂજને તેમના સ્ટાફ ક્વાર્ટરમાં દારૂની મહેફિલ માણતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે.આર. બૂજ ભિલોડા એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોલીસને બાતમી મળી હતી કે, તેઓ પોતાના ફરજ સ્થળ અને ક્વાર્ટરમાં દારૂનું સેવન કરતા હતા. આજે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બૂજ તેમના એસટી સ્ટાફ ક્વાર્ટરમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે ભિલોડા પોલીસે તાત્કાલિક સ્ટાફ ક્વાર્ટસ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ડેપો મેનેજર જે.આર. બૂજ દારૂનું સેવન કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:00 pm

ભાવનગરમાં જૈન દર્શન એક્સ્પો-2026નું આયોજન:દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ સમ્યગ જ્ઞાનશાળા દ્વારા પ્રદર્શન

ભાવનગરના કાળુભા રોડ પર આવેલા ભક્તિબાગ ઉપાશ્રય ખાતે દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ સમ્યગ જ્ઞાનશાળા દ્વારા જૈન દર્શન એક્સ્પો ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ લોકોને જૈન સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનથી માહિતગાર કરવાનો હતો. અક્ષયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં જૈન ધર્મ સંબંધિત ૨૦થી વધુ મોડેલ પ્રદર્શિત કરાયા હતા. તેમાં AI vs કેવળજ્ઞાન, નરકની વેદના, અનેકાંતવાદ, અને 'શું ચંદ્ર પર મનુષ્ય પહોંચ્યો છે?' જેવા વિજ્ઞાન, રહસ્યો, તત્ત્વ અને જૈન સંસ્કૃતિ આધારિત વિષયો પર પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, ગેમ ઝોન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, આત્મા સાથે પ્રાયશ્ચિત અને જંગલ થીમ આધારિત મોડેલ્સ દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. સંઘ સંચાલિત ઉમેદગુરુ જૈન પાઠશાળાના આશરે 100 જેટલા બાળકો અને શિક્ષકોએ મોડેલ્સ તૈયાર કરી તેની સમજણ આપી હતી. આ પ્રદર્શન નિહાળવા માટે બરવાળા, ગઢડા અને ધંધુકાથી પણ જૈન પાઠશાળાના બાળકો આવ્યા હતા. જૈન દર્શન એક્સ્પો ૨૦૨૬માં સમ્યગ જ્ઞાનશાળા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી જયંતીભાઈ પટેલ, દિલીપભાઈ શેઠ, કિરીટભાઈ ડેલીવાળા સહિત જૈન સમાજ, વેપારી એસોસિએશન મંડળના સભ્યો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.આ પ્રોજેક્ટ એક્ઝિબિશનને સફળ બનાવવામાં સમીરભાઈ ગાંધી અને તેમની ટીમે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:00 pm

મોરબીમાં ધમકીથી કંટાળી આધેડે ફિનાઈલ પીધું:ધંધામાં મંદી આવતા ઉધાર લીધેલા રૂપિયા પરત ન આપી શક્યા, હોસ્પિટલમાં સારવાર હેઠળ

મોરબીમાં ધંધામાં થયેલી ખોટ અને ઉધાર લીધેલા રૂપિયા સમયસર પરત ન આપી શકવાને કારણે ફોન પર ધમકી મળતા એક આધેડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્ક, રવિ પાર્ક નજીક રહેતા ફારુકભાઈ મોહમ્મદભાઈ ગલેરીયા (ઉં.વ. 51) સાથે બની હતી. ફારુકભાઈએ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું, જે બાદ તેમને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. ફારુકભાઈના પત્ની રોશનબેન ગલેરીયા (ઉં.વ. 50) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમના પતિ કપડાની ફેરીનો ધંધો કરે છે. એકાદ વર્ષ પહેલા તેમને રૂપિયાની જરૂર પડતા મોરબીના આદિલભાઈ પાસેથી એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. તેમાંથી અડધા રૂપિયા પરત ચૂકવી દીધા હતા, પરંતુ ધંધામાં મંદી આવતા બાકીના રૂપિયા ચૂકવી શક્યા ન હતા. આથી આદિલે ફોન પર ધમકી આપતા ફારુકભાઈએ કંટાળીને આ પગલું ભર્યું હતું. પોલીસે આ અંગે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં વાંકાનેર શહેર અને ટંકારાના નેકનામ ગામે પોલીસે જુગારના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. વાંકાનેરમાં આસ્થા પીરની દરગાહ પાછળ સંધિ સોસાયટીની શેરીમાં ખુલ્લા પટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી હાજીભાઈ ઇબ્રાહીમભાઇ મોવર, જાવીદભાઈ અબ્દુલભાઈ કઈડા અને પરેશભાઈ ખોડાભાઈ શેખાણી (તમામ રહે. વાંકાનેર) ને 10,300 રૂપિયા રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ટંકારાના રોહીશાળા ગામની સીમમાં બાવળના ઝાડ નીચે જુગારની રેડ દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રસિકભાઈ જેઠાભાઇ રૈયાણી (રહે. રોહીશાળા) અને કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવનસિંહ ઝાલા (રહે. નેકનામ) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6,500 રૂપિયા રોકડ સહિત કુલ 16,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, જયેશભાઈ નારણભાઈ દલસાણીયા (રહે. નેકનામ), શક્તિવનભાઈ છગનભાઈ ભોરણીયા (રહે. રોહીશાળા) અને અંકિતભાઈ ધીરુભાઈ જાદવ (રહે. નેકનામ) સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:52 pm

‘2027માં અમારી સરકાર બનશે, તો ભ્રષ્ટાચારી નેતાઓ વિરુદ્ધ કડક તપાસ’:છોટાઉદેપુરના કવાંટની જાહેર સભામાં ચૈતર વસાવાની ચીમકી, કહ્યું- પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરી

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કવાંટમાં આયોજિત એક જાહેર સભા યોજી હતી. તેમણે ગુજરાતના પૂર્વ વન મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નામ લીધા વગર વસાવાએ દાવો કર્યો હતો કે પૂર્વ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરી છે. સાપુતારા, મુંબઈ, દીવ અને દમણ જેવા પર્યટન સ્થળોએ રિસોર્ટ અને હોટેલ-મોટેલમાં ભાગીદારીનો આરોપ મૂક્યો છે. એટલું જ નહીં, 2027માં અમારી સરકાર બનશે, તો ભ્રષ્ટાચાર કરનાર તમામ નેતાઓ વિરુદ્ધ કડક તપાસ કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. 'પરિવર્તન સભા'માં જનમેદની ઉમટીછોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જનમેદનીને સંબોધતા ચૈતર વસાવાએ આક્રમક તેવરમાં પૂર્વ મંત્રી પર નિશાન સાધ્યું હતું. ભ્રષ્ટાચાર અને બેનામી મિલકતના આક્ષેપોચૈતર વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ વન મંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન આદિવાસી બાળકો માટે આંગણવાડીઓ બનાવવાને બદલે પોતાના માટે કરોડોના આલીશાન બંગલા બનાવ્યા છે. તેમણે પૂર્વ મંત્રીની વિવિધ ક્ષેત્રોમાં બેનામી ભાગીદારી હોવાના પણ આરોપો લગાવ્યા હતા. કયા કયા આરોપ લગાવ્યા? કોસંબા જ્વેલર્સમાં કરોડોનું રોકાણ. સાપુતારા, મુંબઈ, દીવ અને દમણ જેવા પર્યટન સ્થળોએ રિસોર્ટ અને હોટેલ-મોટેલમાં ભાગીદારી. બિન-આદિવાસી અને ખોટા લોકોને આદિવાસી હોવાના પ્રમાણપત્રો આપવાનું કૌભાંડ. આદિવાસીઓના હકનું છીનવીને નેતાઓ પોતાના ઘર ભરી રહ્યા છે. જો 2027માં અમારી સરકાર બનશે, તો ભ્રષ્ટાચાર કરનાર તમામ નેતાઓ વિરુદ્ધ કડક તપાસ કરવામાં આવશે નામ જાહેર કરવા માટે એક અઠવાડિયાની મહોલતજ્યારે પત્રકારોએ ચૈતર વસાવાને આ પૂર્વ વન મંત્રી કોણ છે તેનું નામ પૂછ્યું, ત્યારે તેમણે અત્યારે નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માત્ર એક અઠવાડિયું રાહ જુઓ, હું પુરાવા સાથે નામ જાહેર કરીશ. વસાવાના આ નિવેદન બાદ હવે સૌની નજર તે 'નામ' પર ટકેલી છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:51 pm

હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી સંપન્ન, સરેરાશ 39.12 ટકા મતદાન:13 બેઠકો માટે 42 ઉમેદવારો મેદાનમાં, મોડી રાત્રે પરિણામ

હિંમતનગર નાગરિક સહકારી બેંકની 13 બેઠકો માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. હિંમત હાઈસ્કૂલમાં યોજાયેલા આ મતદાનમાં કુલ 32,876 મતદારો પૈકી 12,887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં સરેરાશ 39.12 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા. મતદાનની શરૂઆતમાં ગતિ ધીમી રહી હતી, પરંતુ બાદમાં મતદારોનો ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે મતદાન મથક બહાર અને અંદર લાંબી કતારો લાગી હતી. બેંક સત્તાવાળાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી મતદારોને તેમના બૂથ અને મતદાર ક્રમાંક શોધવામાં સરળતા રહી હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં 12,887 મતદારોએ મતદાન કર્યું હતું. છેલ્લા એક કલાકમાં મતદાન કરવા માટે મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીમાં 9,961 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે આ વખતે 12,887 મતદારોએ મતદાન કરતાં ગત ચૂંટણીની સરખામણીમાં 2,996 વધુ મતદારોએ ભાગ લીધો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગભગ રાત્રે 8 વાગ્યા પછી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. આ ચૂંટણીનું પરિણામ રવિવારે મોડી રાત્રે જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં બેંકના ચેરમેન સહિત પૂર્વ ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:45 pm

યુવકે ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કર્યો, વીડિયો વાયરલ:ગણદેવા-ટાંકલ રોડ પર જોખમી ડ્રાઇવિંગ બદલ યુવક વિરૂદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી

નવસારીની ચિખલી પોલીસે ગણદેવા-ટાંકલ રોડ પર ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરનાર યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ફરતો થયો હતો. આ વીડિયોમાં એક યુવક ગણદેવા-ટાંકલ રોડ પર ટ્રેક્ટર-ટ્રોલી સાથે બેદરકારીપૂર્વક અને જોખમી રીતે ડ્રાઇવિંગ કરી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ચીખલી પોલીસના ધ્યાને આવતા ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. રાઠોડ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ચીખલી પોલીસની સર્વેલન્સ ટીમે વીડિયો અને સીસીટીવી ફૂટેજની મદદથી સ્ટંટ કરનાર યુવકની ઓળખ કરી હતી. આરોપીની ઓળખ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામ, નીચલી ફળીયાના રહેવાસી 19 વર્ષીય આકાશભાઈ રામુભાઈ કાથુડ તરીકે થઈ છે. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી બાદ ચીખલી પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર 'લાઈક્સ' અને 'ફોલોઅર્સ' મેળવવા માટે પોતાના કે અન્યોના જીવ જોખમમાં ન મૂકો. પોલીસે ચેતવણી આપી છે કે આવા જોખમી સ્ટંટ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પીએસઆઈ એચ.એચ. ફડદુ અને ચીખલી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:42 pm

સોમનાથ સ્વાભિમાન પર્વ હવે 15 જાન્યુઆરી સુધી લંબાવાયું:શ્રદ્ધાળુઓની માંગ અને ભીડને ધ્યાને લઈ રાજ્ય સરકારનો નિર્ણય

સોમનાથ ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી હવે 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ પર્વને શ્રદ્ધાળુઓની વિશાળ જનમેદની અને અતૂટ આસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભગવાન ભોળાનાથ પ્રત્યે જનતાની અડગ શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આ પર્વનો લાભ લઈ શકે તેવી ભાવના વ્યક્ત કરી હતી, જેને માન આપીને રાજ્ય સરકારે પર્વની અવધિ વધારી છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક સ્વરૂપ લઈ ચૂક્યું છે. આ પર્વ અંતર્ગત યોજાયેલી ભવ્ય 'શૌર્યયાત્રા'માં એક લાખથી વધુ લોકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર સોમનાથ ભક્તિભાવમાં લીન બન્યું હતું. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા કાર્યક્રમોની શ્રેણી મુજબ, 15 જાન્યુઆરી સુધી અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષના ગૌરવગાથાની ઉજવણી ચાલુ રહેશે. આ ઉજવણીમાં દેશભરના શ્રદ્ધાળુઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળ, વહીવટી તંત્ર અને સુરક્ષા દળોના સંકલિત પ્રયત્નોથી આ પર્વ સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓને ભક્તિમય વાતાવરણ સાથે પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાકારોની પ્રસ્તુતિઓ તેમજ રોશનીના અદભૂત આયોજનનો આનંદ મળશે. પર્વ દરમિયાન વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 72 કલાકનો અખંડ ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો, 108 અશ્વોની શૌર્યયાત્રા તેમજ વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારોની પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણ બની રહી હતી. ભારતીય સંસ્કૃતિ, વારસા અને વિરાસતને પુનઃસ્થાપિત કરતા આ મહાન ધાર્મિક પ્રસંગનો લાભ દેશભરના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી રાજ્ય સરકારે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:34 pm

ગોધરામાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સેમિનાર યોજાયો:ગાંધીનગરની જ્ઞાન એકેડમીએ ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સરદાર નગર ખંડમાં ગાંધીનગરની જ્ઞાન એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમમાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સેમિનારમાં ટેટ-૨, ટાટ, પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી અને યુપીએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખવામાં આવ્યા હતા. ગાંધીનગરથી આવેલી જ્ઞાન એકેડમીની તજજ્ઞ ટીમે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે પાસ કરવી, કયા વિષયને વધુ મહત્વ આપવું, કયા વિષયની તૈયારી કઈ રીતે કરવી અને અભ્યાસક્રમ મુજબ કેવી રીતે વાંચવું તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષા સંબંધિત તેમની મૂંઝવણો અને પ્રશ્નો પૂછ્યા હતા, જેના સમાધાન તજજ્ઞોની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોધરા શહેરમાં પણ જ્ઞાન એકેડમી દ્વારા નવા ક્લાસ શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો લાભ લેવા વિદ્યાર્થીઓને જણાવાયું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:19 pm

11 કેવીની લાઇનમાંથી પતંગ કાઢતા કરંટ લાગ્યો, ત્રણમાંથી એકનું મોત:પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, બે બહેનને ઈજાને એકની હાલત ગંભીર, ભાવનગરની કરૂણાંતિકા

ભાવનગર શહેરના મોટા શીતળા માતા મંદિર પાછળ આવેલા શિવનગર હનુમાનવાડી વિસ્તારમાં સમી સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક બે માળના મકાનની અગાશી પર પરિવારના ત્રણ બાળકો પતંગ ચગાવી રહ્યા હતા. પતંગ ચગાવતી વખતે અગાશી પાસેથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. આ ફસાયેલી પતંગ કાઢવા જતાં ત્રણેય બાળકો વીજ લાઈનના સંપર્કમાં આવી ગયા હતા અને તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કરુણ દુર્ઘટનામાં પરિવારના એકના એક પુત્ર નિકુંજ ગોપાલભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેની સાથે રહેલી બે સગી બહેનો પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાં સેજલ મકવાણાની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય બહેન દ્રષ્ટિ મકવાણાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાદાના ઘરે પતંગ ઉડાવવા આવ્યો હતોપ્રાથમિક વિગત અનુસાર, નિકુંજ ગોપાલભાઈ મકવાણા જે શહેરના ઘોઘારોડ 14 નાળા ઉદયવીર હનુમાનજી મંદિરની બાજુમાં રહેવાસી છે જે આજે તેના દાદા વિજયભાઈ મકવાણાના ઘરે પતંગ ચગાવવા ગયો હતો ને તેની બહેનો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે 11 કેવીની લાઈનમાં શોક લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મહત્વની વાત તો એ છે કે તેના પિતાનો એકમાત્ર દીકરો હતો તે એકના એક દીકરાનું શોક લાગતા મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શિવનગર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપાલભાઈએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:10 pm

ચાઈનીઝ દોરીની ફેક્ટરીના માલિકને SOGએ વાપીથી પકડ્યો:અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિરેન પટેલની પુછપરછ હાથ ધરી, ફેલાયેલા નેટવર્કના રાજ ખુલશે

ઉતરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દાદરા નગર હવેલીમાં ચાલતા ચાઈનીઝ દોરી બનાવવાના કારખાનાના મુખ્ય સૂત્રધાર વિરેન બાબુભાઈ પટેલની વાપીથી અટકાયત કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દોરીનું નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે તેનો ખુલાસો થઈ શકે છે. આખો બનાવ શું છે?ગત ડિસેમ્બર માસમાં અમદાવાદ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે દાદરા નગર હવેલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચાઈનીઝ દોરી બનાવવાનું એક મોટું કારખાનું મળી આવ્યું હતું, જ્યાં મોટા પાયે પ્રતિબંધિત દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ વાપીનો વિરેન પટેલ મુખ્ય સૂત્રધાર છે. પોલીસ કાર્યવાહીફેક્ટરી ઝડપાયા બાદ પોલીસ આ કૌભાંડના માલિકની શોધખોળ કરી રહી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી SOG એ વિરેન પટેલને વાપી ખાતેથી દબોચી લીધો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ દોરીનું નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે અને અન્ય કોણ આમાં સામેલ છે તે અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:09 pm

કાળવા નદીના કાંઠે દેશી દારૂના અડ્ડા પર SMC ત્રાટકી:11.14 લાખનો મુદ્દામાલ સાથે 9 આરોપીઓ ઝડપાયા, રાજકોટનો બુટલેગર વોન્ટેડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે જૂનાગઢ શહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર લાલઆંખ કરી છે. શહેરના મધ્યમાં આવેલા કાલવા નદીના કાંઠે અને પંચેશ્વર મહાદેવ મંદિરની પાછળ ચાલતા દારૂના કાળા કારોબાર પર SMC એ મધરાતે ત્રાટકીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે SMC ના દેશી દારૂના અડ્ડા પર રેડ કાર્ટ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​નદીના કાંઠે ચાલતું હતું દેશી દારૂનું નેટવર્ક SMC ના પીએસઆઈ કે.એચ. ઝણકાટ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જૂનાગઢમાં પ્રદીપ ટોકીઝ રોડ, કાલવા ચોક પાસે નદીના પટમાં મોટા પાયે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરીને દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો અને દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. ​11.14 લાખનો મુદ્દામાલ અને સાધન-સામગ્રી જપ્ત પોલીસે આ દરોડા દરમિયાન દેશી દારૂ 1755 લિટર કિં.રૂ. 3.51 લાખ, દારૂનો આથો 9820 લિટર કિં.રૂ. 2.45 લાખ, વાહનો 09 નંગ કિં.રૂ. 4.20 લાખ, મોબાઈલ 10 નંગ કિં રૂ. 45,500 તેમજ ગેસના સિલિન્ડર, ગેસના ચૂલા, ગોળની ભીલીઓ, ઈસ્ટના બોક્સ, વોટર મોટર અને સિન્ટેક્ષની ટેન્ક સહિતની સાધન-સામગ્રી મળી કુલ રૂ. 11,14,950 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​9 આરોપીઓની ધરપકડ, રાજકોટનો શખ્સ વોન્ટેડ SMC એ સ્થળ પરથી કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં ગોવિંદ ઉર્ફે અબલુ મોરી, રાજુ મોરી, કૌશિક મોરી, અતુલ ઉર્ફે અજીત ખરેડ, દેવેન્દ્ર ઉર્ફે દેવા મોરી, યશ મોરી, ગીગન ગલચર અને માંડા મોરી આતમામ રબારી વાસ જૂનાગઢના રહીશ છે. જ્યારે રાજકોટ મેટોડા GIDCનો રહેવાસી ગોગન ગઢવી આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65, 81, 83, 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 111 (સંગઠિત ગુનો) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીઓ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:02 pm

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની ફીમાં તોતિંગ વધારાની તૈયારી:317 ટકા સુધીનો વધારો સૂચવાયાનો કોંગ્રેસનો દાવો, જાણો, કયા કોર્સની ફીમાં કેટલો વધારો સૂચવાયો?

ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સની ફીમાં તોતિંગ વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ફી વધારાની અસર થશે. સૂચિત ફી વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જ્યારે વિદ્યાર્થીઓની ફીમાં 178 ટકા સુધી અને વિદ્યાર્થિનીઓની ફીમાં 317 ટકા જેટલો વધારો સૂચવાયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. અલગ અલગ કોર્સની ફીમાં વધારો સૂચવાયોડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા અલગ અલગ સત્રની ફીમાં વધારા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર આ ફી વધારો ઝીંકવાની તૈયારી કરવામાં આવી છે. જેથી ફી વધારાના લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને દીકરીઓ પર 317 ટકા આસપાસનો જંગી ફી વધારો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે ફી વધારો કરાયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી વ્યાજબીપણા સાથે શિક્ષણનો અધિકાર આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ફી વધારો કરવા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા 72થી વધુ અભ્યાસક્રમો સાથે 500 જેટલા સ્ટડી સેન્ટરો કાર્યરત છે. તાજેતરમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ બેચલર ઓફ આર્ટસમાં ભાઈઓ પર 178 ટકા અને દીકરીઓના અભ્યાસક્રમ માટે 317 ટકા જેટલો વધારો મુક્વાનીં દરખાસ્ત કરી દેવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસમાં હાલ ભાઈઓ માટે 1800 અને બહેનો માટે 1200 પ્રતિવર્ષ જેના યુનિવર્સિટીના સતાધીશો દ્વારા પ્રતિવર્ષ 5000 જેટલો જંગી વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. અમુક અભ્યાસક્રમમાં 125 ટકા, બી.એડ અભ્યાસક્રમમાં 150 ટકા ફી વધારાની દરખાસ્ત છે. ફી વધારાના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સીટી સત્તાધીશો સગવડો, સુવિધા અને બ્યુટીફીકેશનના નામે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ કરી રહ્યા છે. બીજી બાજુ, સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પર જંગી ફી વધારો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિકથી પી.એચ.ડી. સુધી કન્યા કેળવણી ગુજરાતમાં મફત હતી. ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે જંગી ફી વધારો કેટલે અંશે વ્યાજબી ? યુનિવર્સીટી સત્તાધીશો ફીના મધ્યમવર્ગના દીકરા-દીકરીઓને શિક્ષણનો અધિકાર આપે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:42 pm

શિક્ષિકા સાથે રૂ. 2.12 લાખની છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો:પોલીસે કોર્ટમાં રજૂ કરી 13મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યાં, લગ્ન સમસ્યા ઉકેલવાના બહાને ઠગાઈ આચરી

નવસારીના જલાલપોર તાલુકાના એક ગામમાં રહેતી ખાનગી સ્કૂલની શિક્ષિકાને મનપસંદ યુવક સાથે લગ્ન કરવા માટે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન' લેવું મોંઘું પડ્યું હતું. રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા લોકેશ ઉર્ફે લક્કી પંકજકુમાર ભારતી (પોપટાણી)એ વાતોની માયાજાળમાં ફસાવી દુઆઓ ગુજારી પ્રશ્નનો ઉકેલ લાવી આપવાના બહાને તેની પાસેથી રૂ. 2.12 લાખથી વધુ પડાવી લીધા હતા. આ ઘટના ગત સપ્ટેમ્બર મહિનાની 9મી તારીખે બની હતી. શિક્ષિકા સબીના (નામ બદલ્યું છે) ઘરે હતી ત્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર 'મોહમ્મદ બિલાલભાઈ' નામની આઈડી પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન'ની જાહેરાત જોવા મળી હતી. યુવતીએ તેના મિત્ર સાથે લગ્ન કરવામાં પરિવારજનોની અસંમતિ અંગે વાત કરી હતી, જેના જવાબમાં તેને વોટ્સએપ નંબર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકેશ ઉર્ફે લક્કી પંકજકુમાર ભારતી (પોપટાણી)એ જુદા જુદા ચાર્જ પેટે રૂપિયાની માંગણી કરી હતી. શિક્ષિકાએ પોતાના અને તેના પરિવારના એકાઉન્ટમાંથી ઠગબાજોએ મોકલેલા સ્કેનર અને બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કુલ રૂ. 2.12 લાખથી વધુની રકમ પડાવવામાં આવી હતી. જોકે, આટલા રૂપિયા આપ્યા છતાં પણ લગ્ન સંબંધિત સમસ્યાનો ઉકેલ ન આવતા શિક્ષિકાને છેતરપિંડીનો ભોગ બની હોવાનો અહેસાસ થયો હતો. તેણે તાત્કાલિક સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મરોલી પોલીસે લોકેશ ઉર્ફે લક્કી પંકજકુમાર ભારતી (પોપટાણી) સામે ગુનો દાખલ કર્યો હતો. પી.આઈ. એસ.આર. ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાજસ્થાન જઈ આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી 13મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, જ્યારે શિક્ષિકાએ રૂપિયા આપ્યા છતાં સકારાત્મક પરિણામ ન આવતા વોટ્સએપ પર મેસેજ કરીને પૂછપરછ કરી, ત્યારે સામેવાળા વ્યક્તિએ જણાવ્યું કે 'ઉપરના હાજીને વાત કરવી પડશે અને તેઓ તમારા કામ માટે દુઆમાં બેઠા છે, તમારી પ્રોસેસ લગભગ પૂરી થવા આવી છે.' આમ કહીને વધુ પેમેન્ટ કરવાની માંગણી કરી હતી. આથી યુવતીએ વધુ રૂ. 50,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ વધારાના રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ શિક્ષિકાએ ફોન, વોટ્સએપ કોલ અને મેસેજ કર્યા છતાં કોઈ જવાબ ન મળતા તેને ખાતરી થઈ કે તે સાઇબર છેતરપિંડીનો ભોગ બની છે. ત્યારબાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:22 pm

ડીંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પર છુટ્ટાહાથની મારામારી, LIVE વીડિયો:બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવતમાં બબાલ; પોલીસે બન્ને પક્ષની અટકાયત કરી

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે, પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત અથવા બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નવાઈની વાત એ છે કે,આ મારામારી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી, જેના કારણે પોલીસની હાજરીનો પણ આરોપીઓમાં ડર ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાધાસ્વામી નગરમાં વિવાદની શરૂઆતઘટનાની શરૂઆત ડીંડોલીના રાધાસ્વામી નગર વિસ્તારથી થઈ હતી. મળતી માહિતી મુજબ, હરિહરનગર સોસાયટીના બે યુવક રાધાસ્વામી નગરમાં આવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકોને ધમકાવી રહ્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ મથક બહાર જ હુમલોજ્યારે રાધાસ્વામી નગરનો રહેવાસી કુંદન માનસિંહ નામનો વ્યક્તિ આ મામલે ફરિયાદ નોંધાવવા માટે ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો, ત્યારે સામા પક્ષના ચાર જેટલા ઈસમો પણ ત્યાં ધસી આવ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર જ આ ઈસમોએ કુંદન પર હુમલો કરી દીધો હતો. પોલીસ સ્ટેશનના દરવાજે જ મારામારીના દૃશ્યો સર્જાતા અંદર હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી બંને પક્ષોને અલગ કર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષના શખસોની અટકાયતડીંડોલી પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બંને પક્ષના શખસોની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત જગ્યાએ આ પ્રકારે હિંમત બતાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:15 pm

પતંગ લૂંટતી વખતે ત્રણને વીજ કરંટ, એકનું મોત:અન્ય બે સગીરા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ભાવનગરમાં વીજ તારમાં ફસાયેલી પતંગને સળિયાથી નીકાળવા જતા બની દુર્ઘટના

ભાવનગરના ખોડીયાર નગર વિસ્તારમાં આજે (11 જાન્યુઆરી) સાંજે પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગતા એક 12 વર્ષીય બાળકનું મોત થયું છે. આ ઘટનામાં અન્ય બે બાળકીઓને પણ ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શીતળા માતાના મંદિર પાસે ખોડીયાર નગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા. તે સમયે 12 વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. નિકુંજ સાથે 13 વર્ષીય સેજલ મકવાણા અને 15 વર્ષીય ખુશી મકવાણાને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ નિકુંજ મકવાણાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બંને બાળકીઓને સારવાર આપવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:06 pm

પારડીમાં 'નમો', 'ઓપરેશન સિંદૂર' થીમ સાથેની પતંગોની માંગ:બજારમાં ખરીદી માટે ભીડ, સાંસદ ધવલ પટેલે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અપીલ કરી

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યભરમાં પતંગોત્સવનો માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી ખાતેના સ્થાનિક બજારમાં પતંગો અને માંજાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે પતંગ બજારમાં ખાસ કરીને બે પ્રકારની પતંગો ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળી 'નમો' પતંગો યુવાનોમાં લોકપ્રિય બની છે. આ ઉપરાંત, ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી થીમ આધારિત 'ઓપરેશન સિંદૂર' પતંગોની પણ બજારમાં ભારે માંગ છે. તાજેતરમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત આગેવાનોએ પારડીના પ્રખ્યાત પતંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપવા સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે પોતે પણ પતંગોની ખરીદી કરી અને માંજો તૈયાર કરવાનો અનુભવ કર્યો હતો. સાંસદે જનતાને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પક્ષીઓ અને મનુષ્યોની સુરક્ષા માટે સ્થાનિક રીતે નિર્મિત સુતરાઉ દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ પક્ષી ઘાયલ થાય, તો તાત્કાલિક જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:33 pm

અકવાડામાં યુવકને ઠપકો આપવા ગયેલા 3 શખ્સ પર જીવલેણ હુમલો:છરીના ઘા મારી દિનેશને પતાવી દીધો, યુવતીને કોલ અને વોટ્સએપ ચેટિંગ કરવા મુદ્દે મારામારી થઈ'તી

ભાવનગર અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતાં યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ગત મોડી રાતે યુવતીના પરિવારના 3 શખ્સો યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતાં. જ્યાં યુવક અને તેના પરિવારે 3 શખ્સો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજા થઈ હતી. તેથી તેને સારવારમાં ખસેડાયો હતો. જેમાં આજે 11 જાન્યુઆરીએ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ઘટનાને પગલે પોલીસે બનાવ સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં સગીર સહિત 4ને પોલીસે હસ્તગત કર્યા છે. નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. અલ્પેશને ઘરે ઠપકો આપવા ગયા ને જીવલેણ હુમલોઆ બનાવ અંગે ઘોઘારોડ પોલિસ સ્ટેશનથી મળતી વિગત મુજબ, 10 જાન્યુઆરીના મોડી રાત્રીના ફરીયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરીયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતાં. છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરીજે સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ, તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર, તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે દરમ્યાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશ હરભીમભાઈ ચૌહાણ (મામાને) પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. વહેલી સવારે દિનેશનું સારવાર દરમિયાન મોત થયુંજ્યારે આ બનાવ અંગે મૃતકના ભણીયાએ ઘોઘારોડ પોલિસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જ્યાં આજરોજ વહેલી સવારે દિનેશ હરભીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરીઘટનાના પગલે સીટી Dysp, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘારોડ પોલિસે આ બનાવમાં નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. 3 લોકો અકવાડા જઈ સામેવાળા આરોપીને સમજાવવા ગયા ને મારામારીઆ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અકવાડા વિસ્તારમાં ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ. આ બનાવની દિલીપ ડાભી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સગીર સહિત 4ને પોલિસે હસ્તગત કર્યા:સીટી Dyspસિંધાલએ જણાવ્યું હતું કે, તેથી ભોગ બનનાર દિનેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં આવી અને આજે વહેલી સવારે તેનું મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પરિણામ્યો છે. જેને લઇ પી.આઈ. કુરેશી દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવનાર છે અને ગતરાત્રિના પીઆઇ, પીએસઆઇ દ્વારા કોમ્બિંગ કરી આ બનાવના ચારેય આરોપી, રાહુલ, અલ્પેશ, સુરેશ અને અન્ય એક આરોપીને હસ્તગત કરી લીધેલા છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:32 pm

PMના રૂટ પર એર પોલ્યુશન ઘટાડવા મિસ્ટ મશીનનો ઉપયોગ, VIDEO:રવિવારે ફ્લાવર શો જોવા 25 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા, એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:30 pm

નવસારીની શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં આનંદ મેળાની ઉજવણી:વિદ્યાર્થીઓએ ફૂડ અને ગેમ ઝોનમાં ઉત્સાહભેર ભાગ લીધો

નવસારીના હંસાપોર સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 10 જાન્યુઆરી, 2026ના રોજ 'આનંદ મેળા'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીના આશીર્વાદ સાથે યોજાયો હતો. શાળા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને ભાર વિનાનું ભણતર પૂરું પાડવા માટે આવા અવનવા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આ આનંદ મેળાને 'ફૂડ ઝોન' અને 'ગેમ ઝોન' એમ બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના પટાંગણમાં ગોઠવાયેલા 'ફૂડ ઝોન'માં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. જેમાં મોજીટો, બ્લુબેરી મોકટેલ્સ, કોલ્ડ કોકો, ચા અને કોફી જેવા પીણાંનો સમાવેશ થતો હતો. નાસ્તાની વાનગીઓમાં વડાપાવ, દાબેલી, પાણીપુરી, સેવપુરી, ફ્રેન્ચ ફ્રાઈસ, નુડલ્સ, પીઝા, દાલ પકવાન, સમોસા અને સેન્ડવીચ જેવી અનેક વાનગીઓ ઉપલબ્ધ હતી. મીઠાઈઓમાં ગુલાબજાંબુ, ચુરમાના લાડુ, કપ કેક અને જલેબી જેવી વસ્તુઓ પણ હતી. બાળકો માટે શાળાના પટાંગણમાં સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમની જરૂરિયાતો અને સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 'ફૂડ ઝોન' ઉપરાંત, 'ગેમ ઝોને' પણ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. આ ગેમ ઝોનની અંદર બોલ થ્રો, બોટલ અપ, બોલ્સ આઈ, બઝિંગ ડિવાઇસ, ફાઈન્ડ ઘ કી, ટીશયું એન્ડ વોટર ગ્લાસ, થ્રો ઘ કોઈન ઈન વોટર બકેટ, સેવ ધ પિરામિડ, ચુઝ ઘ કરેક્ટ બલૂન, મેચ ધ કરેક્ટ કોલ્ડ્રિંક, સ્ટ્રોડ ડગ કેપ, થ્રો ધ બોલ, થ્રો ઘ બોલ ઈન પોટ, કટ ધ પેપર, થ્રો રીંગ , અરેન્જ ધ કપ, મેચ ધ બોટલ જેવી રમતો સામેલ કરવામાં આવી હતી. આ રમત ગમતો એ આનંદ મેળામાં લોકોને મનોરંજન પૂરું પાડવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમજ રમુજ ઊભું કર્યું હતું. આનંદ મેળાનું આયોજન બાળકોને વાણિજ્યની સમજ વિકસાવવા, વાનગીઓ બનાવવાની કળા અને પીરસવાની કળા બહાર લાવવા તેમને તેમના ઉત્સાહમાં ઉમેરો કરવાની સાથે સાથે સ્વદેશી અપનાવો એવી એક વિચારધારા નો જન્મ લાવવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર શાળાના તમામ બાળકોની સાથે -સાથે વાલી મિત્રોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી. બાળકો, શાળા પરિવારના તમામ સદસ્યો અને વાલી મિત્રો સૌ કોઈએ આ ઉજવણીમાં ભાગ લઈ અવનવી વાનગીઓનું રસપાન કર્યું હતું તેમજ વિવિધ રમતો રમીને નાના મોટા ઈનામો પણ જીત્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિરોધર એવા મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલીયાએ બાળકોને વેપાર અને વાણિજ્ય કળાથી અવગત કરાવ્યા હતા. તેમજ 'સ્વદેશી અપનાવો'ની વિચારધારામાં જાગ્રતતા લાવવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન કરવા નો કાર્યભાર સ્વાતિબેન , ઇલાબેન ,સાગર સર, માલતીબેન ,જતીન સર ,રૂપાબેન સંભાળ્યો હતો. તથા ડેકોરેશનનો કાર્યભાર પૂર્વીબેન, પ્રિયાબેન, નિમિષાબેન, શ્રેયાબેન, માલતીબેન, સ્વાતિબેને સંભાળ્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમને દોરવણી પૂરું પાડવાનું કાર્ય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલીયા ,આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાય,ઉપાચાર્ય ભાવનાબેન નાયક,કો-ઓર્ડીનેટર પાયલબેન, મનમીતબેન,જીનલબેન, આશાબેન ના ફાળે જાય છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:20 pm

ભરૂચમાં મહિલા કોંગ્રેસની બેઠક, મનરેગાનું નામ બદલવાનો વિરોધ:રાષ્ટ્રીય સચિવની અધ્યક્ષતામાં મહિલાઓના હક્કો, સામાજિક ન્યાય, રોજગાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલા કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બેઠક દરમિયાન, કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના નિર્ણય સામે મહિલા કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ નિર્ણય સામે દેશભરમાં વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, બેઠકમાં મહિલાઓના હક્કો, સામાજિક ન્યાય, રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીની નીતિઓ અને વિચારોથી પ્રેરિત થઈને અનેક નવી મહિલાઓ પાર્ટીમાં જોડાઈ હતી, જેનાથી આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બેઠકમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ હુસેનાબાનુ રસીદભાઈ હાફેજી અને પૂર્વ પ્રમુખ જયોતિ તડવી સહિત મહિલા કોંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા કોંગ્રેસે આગામી સમયમાં મહિલાઓના પ્રશ્નોને લઈને વધુ સક્રિય આંદોલનો અને કાર્યક્રમો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:15 pm

નવસારી પતંગ બજારમાં ગ્રાહકોની ભીડ, મંદી વચ્ચે ઉત્સાહ:છેલ્લા સમયે ખરીદીનો માહોલ જામ્યો, રેડીમેડ દોરીનો ક્રેઝ વધ્યો

નવસારીના પતંગ બજારોમાં ઉતરાયણ પૂર્વે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. શરૂઆતી મંદીના માહોલ બાદ છેલ્લા દિવસોમાં ખરીદીનો ધસારો વધતા વેપારીઓમાં આશા જાગી છે. સ્થાનિક વેપારી હરીશ વેરામલ બુધાનીના જણાવ્યા અનુસાર, બજારમાં હાલ ન તો વધુ તેજી છે ન તો વધુ મંદી. આર્થિક મર્યાદાઓ છતાં લોકોનો તહેવાર ઉજવવાનો ઉત્સાહ અકબંધ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ગ્રાહકોની સારી એવી ચહેલપહેલ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે લોકો પોતાની આર્થિક સ્થિતિ મુજબ ખરીદી કરી રહ્યા છે. દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 5 ટકા થી 10 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જોકે, પતંગોના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, જે ગ્રાહકો માટે રાહતરૂપ છે. નવસારીમાં પરંપરાગત રીતે ઘરે-ઘરે કે શેરીઓમાં દોરી માંજવાના (પાયાના) વ્યવસાયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોટાભાગના લોકો હવે સમય બચાવવા માટે ઓર્ડર આપી દોરી માંજવાના બદલે રેડીમેડ માંજેલી દોરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આના કારણે પરંપરાગત કારીગરોનો વ્યવસાય ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, જોકે મર્યાદિત વર્ગ હજુ પણ આ પદ્ધતિને વળગી રહ્યો છે. બજારના નિષ્ણાતો માને છે કે, ઉતરાયણના છેલ્લા 3 થી 4 દિવસ જ ખરા અર્થમાં વેપાર માટે મહત્વના હોય છે. શરૂઆતના દિવસો ભલે સામાન્ય રહ્યા હોય, પરંતુ વર્તમાન ઘરાકીને જોતા વેપારીઓ આશાવાદી છે કે આ વર્ષે પણ ઉતરાયણનો વેપાર સારો રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:10 pm

પૈસા ગણવાના 4 મશીન, સોના-ચાંદી, હીરાનો ઢગલો:1515 કરોડના ફ્રોડ કેસમાં સુરત પોલીસે 4ને ઝડપ્યા; ચિરાગ સૂતરિયા-પ્રવિણ ગઢિયાની ઓફિસમાંથી 2 કરોડ રોકડા મળ્યાં

સુરતમાં તાજેતરમાં સામે આવેલા 1550 કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઈમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન, સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરનાર વધુ ચાર આરોપી અબ્દુલરબ ચામડીયા, અમીત ચોક્સી, ચિરાગ ઉર્ફે ચાર્લી સૂતરિયા અને પ્રવિણ ગઢીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ 2,60,32,214 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવિણ ગઢીયાની મહિધરપુરાની ઓફિસમાંથી 1.92 કરોડ રોકડા અને પૈસા ગણવાના ચાર મશીન મળી આવ્યાં હતાં. આ સાથે આરોપીઓના ઘરની તપાસમાં કરતા 289 ગ્રામ સોનું, 10 કિલો-800 ગ્રામ ચાંદી અને 413.37 કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યાં છે. આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી, જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓની કામ કરવાની મોડસ ઓપરેન્ડીઆ કેસમાં પકડાયેલા ચારેય નવા આરોપીના આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ સાથે કામ કરતા હતાં. આરોપી અબ્દુલરબ, અમીત ચોક્સીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડ સ્વરૂપે ઉપાડી લેતો હતો. આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવિણ ગઢીયાની ઓફિસે પહોંચાડવામાં આવતી હતી. મુખ્ય સૂત્રધાર ચિરાગ સૂતરિયા આ રોકડ નાણાંને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે USDT (ક્રિપ્ટોકરન્સી)માં કન્વર્ટ કરી આપતો હતો, જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે. આરોપીઓ સામાન્ય લોકોને લાલચ આપી બેંક ખાતા લઈ લેતાતપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ-લાલચ આપી તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવતી હતી. આ એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સીમ કાર્ડ્સ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને કમિશનના આધારે ભાડે આપવામાં આવતા હતા. અત્યાર સુધીમાં આવા 164 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાં થયેલા વ્યવહારોનું વિશ્લેષણ કરતા અંદાજે 1550 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડઆ વિશાળ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 25 આરોપીઓ વિરુદ્ધ 1.5 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે. આ કેસ માત્ર સુરત કે ગુજરાત પૂરતો સીમિત નથી, પરંતુ તેના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા હોવાથી તપાસ હજુ પણ ચાલુ છે. રૂપિયા ગણવાના મશીનો મળી આવવા તે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલા મોટા પાયે કાર્યરત હતું. આરોપી સાયબર ફ્રોડના નાણા માટે બેંક ખાતા ખોલવતો હતોઃ DCPઆ મામલે ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો. અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે, એક વ્યક્તિ બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ (એટલે કે પાર્ટનરશીપની ડીડ) લઈને જઈ રહ્યો છે. આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે. જે રીતે ડિજિટલ એરેસ્ટ અથવા ગેમિંગના નામે જે ફ્રોડના પૈસા આવે છે, એ પૈસા નાખવા માટે થઈને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ આ વ્યક્તિ કરી રહી છે. જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું અને અમે એ વ્યક્તિને લઈ આવ્યા. ‘અમે બેંકના કર્મીઓની પણ અટકાયત કરી’ઇન્વેસ્ટિગેશન દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ મળી આવ્યાં હતા. જે મેઈન આરોપી છે, જેને અમે અટક કરેલો છે. અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં અલગ-અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા. આ લોકો બેંકના એમ્પ્લોયીસને (કર્મચારીઓને) પણ સાથે રાખી અને ગુમાસ્તાધારા વગર પણ દુકાન ખોલવી, દુકાનના ફોટોગ્રાફ્સ લેવા, ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંકમાં એક ખાતું ખોલાવવું. બેંકમાં ખાતું ખોલાવી અને એની UPI લિંક જનરેટ કરવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ આ ખાતામાં પડતા હતા. જે વખતે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઉભી કરવી, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટે જે સાથ સહકાર આપેલા હતા, એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલી છે. બેંકના 8 કર્મચારીને પણ અમે અટક કર્યા છે, કારણ કે બેંકના કર્મચારીઓની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય નથી. ‘ફ્રોડની જાણ હોવા છતાં લોકોએ બેંક ખાતા ભાડે આપ્યાં’ખાતાધારકો પોતે જાણે છે કે, મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાજ જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે. એ જાણે છે કે આમાં કોઈ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવીને પોતે પોતાનું ખાતું કિરાજ જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતાધારકોને પણ પોલીસે અગાઉ અટક કરેલા છે. ‘8થી 9 જેટલા ખાતામાં 90 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન’ઇન્વેસ્ટિગેશનની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશનમાં મળી કે જે 164 જેવા જે ખાતાઓ છે, એમાંથી આશરે 8થી 9 ખાતામાં 90 લાખ રૂપિયા જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે, જેણે એમના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું કે, આમાં પકડાયેલા આરોપી અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા, જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયા હતા. અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને આરોપી અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા, જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું એ બંનેને પણ અમે અટક કર્યા છે. ‘આરોપીઓ હવાલાના રૂપિયા USDT ટ્રાન્સફર કરતા’આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા હતા અને ઇન્વેસ્ટિગેશન કરતા હતા, ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા છે, એણે બીજા એક હવાલાથી પણ USDT ટ્રાન્સફર કરેલા છે. જેનું નામ ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા છે. એના ત્યાં કામ કરતા પ્રવિણ લક્ષ્મણભાઈ ઘડિયા, જેઓની પણ અમે અટક કરી છે. USDTમાં એ લોકો જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા, એનું એ લોકો USDTમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના એકાઉન્ટ્સ અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક, બેંકના કર્મચારી અને જેમને આખી કોન્સ્પીરસી રચી છે એ, અને જે પૈસા આવ્યા એને ટ્રાન્સફર કરીને USDTમાં કન્વર્ટ કરવાની આખી લાઈનમાં આ તમામની અમે અટક કરેલી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:10 pm

અમદાવાદના અંબિકા એસ્ટેટમાં આગ ભભૂકી:ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે રવાના, ફેક્ટરીમાં અમુક લોકો ફસાયા

અમદાવાદના નરોડા રોડ પર મેમ્કો પાસે આવેલા અંબિકા એસ્ટેટમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી છે જેથી ફાયર બ્રિગેડની ટીમ હાલ કામગીરી કરી રહી છે. અંબિકા એસ્ટેટમાં લાકડાની ફેક્ટરીમાં વેચાણ આગ લાગી છે. હાલ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર જવા રવાના થયા છે

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:09 pm

ગાંધીનગરમાં લાડુ ભોજન સ્પર્ધા યોજાઈ, વિજેતાઓ જાહેર:નિમેષ ચૌહાણ 'લાડુ વીર', હેમાબેન સગર 'લાડુ વીરાંગના' બન્યા

ગાંધીનગરમાં લાલ-ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે લાડુ ભોજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કશ્યપ નિમાવત અને કુંતલ નિમાવતે માહિતી આપતા જણાવ્યું કે, આ સ્પર્ધા વયજૂથ પ્રમાણે કુલ આઠ વિભાગમાં યોજાઈ હતી. પ્રત્યેક વિભાગમાં પુરુષ અને મહિલા એમ બે પેટાવિભાગ પાડીને ત્રણ વિજેતાઓને ઇનામો એનાયત કરાયા હતા. સ્પર્ધામાં ગાંધીનગર ઉપરાંત દહેગામ, અમદાવાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને ડીસાના સ્પર્ધકો જોડાયા હતા. સૌથી નાની વયના સ્પર્ધકની ઉંમર પાંચ વર્ષ અને સૌથી મોટી વયના સ્પર્ધકની ઉંમર 82 વર્ષ હતી. લાડુ ભોજન માટે 30 મિનિટનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ સમયમર્યાદામાં મહત્તમ લાડુ ખાનારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાની વિશેષતા એ હતી કે કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર દરેક લોકોએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા જંક ફૂડનો ત્યાગ કરીને પરંપરાગત ભોજન તરફ પાછા ફરવા સમાજને અપીલ પણ કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે નિમેષ મહેન્દ્રભાઈ ચૌહાણને 'લાડુ વીર' અને હેમાબેન સગરને 'લાડુ વીરાંગના' તરીકે સન્માનિત કરવામાં આવ્યા. નિમેષ ચૌહાણે 10 લાડુ અને હેમાબેન સગરે 8 લાડુ ખાઈને આ ખિતાબ મેળવ્યા હતા. કેનેડાથી માતા-પિતાને મળવા અમદાવાદ આવેલા ધ્રુમિલ ત્રિવેદીએ 19 થી 25 ની વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ધ્રુમિલના માતા મનીષાબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ 51 થી 60 ના વયજૂથના મહિલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર સ્પર્ધાના આયોજનમાં અશ્વિન ત્રિવેદી, હાર્દિક તલાટી, ભાગ્યેશ પરમાર, ગૌરાંગ પંડ્યા સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:51 pm

સુરતના ડીંડોલીમાં હિટ એન્ડ રન, CCTV:રોડ ક્રોસ કરતી બે મહિલાને સ્પીડમાં મોપેડ ચાલકે અડફેટે લીધી, બહેનને વળાવવા જતી મહિલાનું કમકમાટીભર્યું મોત

સુરત શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર બેફામ દોડતા વાહનોએ એક નિર્દોષનો ભોગ લીધો છે. રોડ ઓળંગી રહેલી બે મહિલાઓને મોપેડ ચાલકે અડફેટે લેતા એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલાને ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે. અકસ્માત બાદ મોપેડ ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ તો ડીંડોલી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જમવા આવેલી બહેનને વળાવવા જતા મોત મળ્યુમળતી માહિતી અનુસાર નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા 52 વર્ષીય વંદનાબેન મરાઠે શ્રમજીવી જીવન જીવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રોજ તેમની બહેન ઘરે જમવા માટે આવી હતી. જમ્યા બાદ વંદનાબેન પોતાની બહેનને વળાવવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. બંને મહિલાઓ જ્યારે સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા મોપેડ ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બંનેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વંદનાબેન મરાઠેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. પરિવાર પર આભ ફાટ્યું, ઘરનો આધાર છીનવાયોવંદનાબેન પોતે મહેનત-મજૂરી કરીને ઘરની આર્થિક જવાબદારી સંભાળતા હતા. તેમના અચાનક નિધનથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિના જવાથી પરિવાર હવે નિરાધાર બની ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી મોપેડ ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરીપોલીસ વાહનચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.વાહનચાલકની ઓળખ કરવા માટે પોલીસ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ કરી રહી છે. હાલમાં આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે તેને વહેલી તકે ઝડપી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતના ટ્રાફિક અને વાહનચાલકોની બેદરકારી સામે સવાલો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:43 pm

'પંચાલ સમાજમાં 50 ટકાથી વધુ દંપતીઓને બીજું સંતાન નથી':મહાસંમેલનમાં પ્રમુખે જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા દર્શાવી વસ્તી વધારા પર ભાર મૂક્યો, સંગઠન મજબૂત કરવાનો ઉદ્દેશ્ય

મહેસાણા શહેરમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પંચાલ સમાજ અને બાવીસી પંચાલ સમાજનું એક ભવ્ય અને ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડતા ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ લાવવા અને સંગઠન મજબૂત કરવાનો રહ્યો હતો. જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા મુજબ 50 ટકાથી વધુ દંપતીઓને બીજું સંતાન નથીમહાસંમેલન દરમિયાન વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ અને ફાઉન્ડર જયંતીલાલ પંચાલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કારકિર્દી કે ખર્ચના ડરથી અનેક દંપતીઓ માત્ર એક જ બાળક સુધી મર્યાદિત રહે છે. જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા મુજબ 50 ટકાથી વધુ દંપતીઓને બીજું સંતાન નથી. આ સ્થિતિ ભવિષ્યમાં જ્ઞાતિના અસ્તિત્વ અને કુશળ કારીગરોની સંખ્યા પર અસર કરી શકે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં દ્વિતીય સંતાન લાવનાર દંપતીને પ્રોત્સાહન રૂપે માતાના નામે 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર ચેક એનાયત કરવામાં આવ્યો હતો. 180 મહિલાઓ અને દીકરીઓને મંચ પર શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યાઆ પ્રસંગે વક્તાઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સંતાનને ભાઈ કે બહેનનું સાથ-સહકાર મળે અને માતા-પિતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે વસ્તી સંતુલન જરૂરી છે. આ ઉપરાંત, ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવાર પ્રણાલીનું મહત્વ જાળવી રાખવા માટે અનોખું સન્માન યોજાયું હતું. જેમાં સંયુક્ત પરિવારમાં રહેતી આશરે 180 જેટલી મહિલાઓ અને દીકરીઓને મંચ પર શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંમેલનના અંતે અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા કાર્યક્રમોથી સમાજમાં નવી ઊર્જાનો સંચાર થશે અને આવનારી પેઢી વધુ સંગઠિત અને સક્ષમ બનશે. પંચાલ સમાજની આ પહેલની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:32 pm

બોટાદ ARTO દ્વારા રિક્ષા ચાલકોને માર્ગદર્શન:ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઇવિંગ અંગે પેમ્ફલેટ વિતરણ

બોટાદમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી જાગૃતિ વધારવા માટે એઆરટીઓ બોટાદ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ સલામતીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો. આ કાર્યક્રમ શહેરના મિલેટરી રોડ પર આવેલી આરટીઓ કચેરી બહાર રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. જેમાં તેમને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. રિક્ષા ચાલકોને સલામત ડ્રાઇવિંગ પદ્ધતિઓ, યોગ્ય ઝડપ જાળવવી, ઓવરલોડિંગ ટાળવું, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ તેમજ મુસાફરોની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ રહેવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. અધિકારીઓએ માર્ગ પર સંયમિત અને જવાબદાર વર્તનથી અકસ્માતોમાં ઘટાડો શક્ય હોવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, માર્ગ સલામતી અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે રિક્ષા ચાલકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટનું વિતરણ પણ કરાયું. એઆરટીઓ બોટાદની આ પહેલને રિક્ષા ચાલકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આવા જાગૃતિ કાર્યક્રમો માર્ગ સલામતી માટે અસરકારક સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:26 pm

ચાઈનીઝ દોરી પકડતાં 7 વર્ષની બાળકીને કરંટ લાગતાં દાઝી:ગોધરાના સાંપા ગામે હાઈટેન્શન લાઈન સાથે લટકતી દોરીથી વીજ શોક, ડાબા હાથની એક આંગળી કપાઈ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંપા ગામમાં ઉત્તરાયણ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર આંગણે રમી રહેલી 7 વર્ષની બાળકી આકાશમાંથી લટકતી ચાઈનીઝ દોરીના સંપર્કમાં આવતા ગંભીર રીતે દાઝી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં માસૂમ બાળકીએ પોતાના ડાબા હાથની એક આંગળી ગુમાવવાનો વારો આવ્યો છે. કેવી રીતે બની ઘટના?પ્રાપ્ત વિગતો અનુસાર, સાંપા ગામમાં રહેતા રાજેશની 7 વર્ષની પુત્રી કિંજલ પોતાના ઘર પાસે રમી રહી હતી. તે સમયે ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનમાં અટવાયેલી એક ચાઈનીઝ દોરી નીચે લટકી રહી હતી. જેવી બાળકી આ દોરીના સંપર્કમાં આવી, કે તરત જ હાઈ વોલ્ટેજ કરંટ તેના શરીરમાંથી પસાર થયો હતો. ચાઈનીઝ દોરીમાં રહેલા મેટાલિક તત્વો વીજળીના સુવાહક હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. પિતાએ લાકડાની મદદથી જીવ બચાવ્યોબાળકીને કરંટ લાગતા જ તેની માતાએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળી પિતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમયસૂચકતા વાપરી નજીકમાં પડેલા લાકડાની મદદથી બાળકીને જીવંત વીજ પ્રવાહથી મુક્ત કરાવી હતી. જોકે, વીજ કરંટનો ઝટકો એટલો પ્રચંડ હતો કે કિંજલના શરીરના અંગો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેના ડાબા હાથની એક આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી. વધુ સારવાર અર્થે વડોદરા રીફરઘટના બાદ બાળકીને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીની ગંભીર હાલતને જોતા તબીબોએ તેને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે રીફર કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:24 pm

78 વર્ષીય વૃદ્ધ મહિલાની સોનાની ચેઇન ચોરનાર ચેઈન સ્નેચર ઝડપાયા:ત્રણ અજાણ્યા યુવાનોએ એક્ટિવા પર આવીને કરી હતી લૂંટફાટ, પોલીસે ગણતરીની કલાકમાં દબોચ્યા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિર રોડ ખાતે ગઈકાલે બપોરે એક 78 વર્ષીય વૃદ્ધ મહિલાની ગળામાંથી સોનાની ચેઇન તોડીને લઈ જવાની ઘટના બની હતી. ત્રણ અજાણ્યા યુવાનો એક એક્ટિવા પર આવીને મહિલાની ચેઇન ખેંચી તોડી લઈ ભાગી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 રીઢા આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સક્રિય થઈને તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ખોડીયારનગર-2 પાસે વિનય સોસાયટી પાછળના ખુલ્લા પ્લોટમાં વિનય રોડ પર આજવારોડ ખાતેથી ત્રણેય આરોપીઓને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:પ્રકાશ ઉર્ફે બુચો ધર્મેશભાઈ મારવાડી (ઉં. 23), રહે. પીળા વુડા, જીઓ પેટ્રોલપંપ સામે, ખોડીયારનગર, વડોદરામેહુલ કાંતીભાઈ સલાટ (ઉં. 24), રહે. રામદેવનગર-1, સરસ્વતી સ્કૂલ સામે, આજવારોડ, વડોદરાવિશાલ રાજુભાઈ ડાભી (ઉં. 19), રહે. ખોડીયારનગર, ન્યુ VIP રોડ, પ્રભુજી પાર્ટી પ્લોટ પાસે, વડોદરા આરોપીઓની ઝડતી દરમિયાન એક સોનાની ચેઇન (વજન 14.650 ગ્રામ), એક એક્ટિવા અને એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત 2,25,905 રૂપિયા છે. આરોપીઓ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહીં અને ઉડાઉ જવાબો આપતા હોવાથી વધુ શંકા જતા સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે ગુનો કબૂલી લીધો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:આરોપી પ્રકાશ ઉર્ફે બુચો મારવાડી અગાઉ ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને મકાનમાંથી ચોરીના કુલ 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે (માંજલપુર, બાપોદ, વારશિયા, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે). આરોપી મેહુલ સલાટ અગાઉ વર્ષ 2023માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:19 pm

AB હાઇસ્કુલમાં માસિક સ્વચ્છતા સેમિનાર યોજાયો:કિશોરીઓ અને માતાઓને માસિકસ્ત્રાવ, શારીરિક ફેરફારો અંગે ઊંડાણપૂર્વક માહિતી અપાઈ

નવસારી નજીક પરતપોર સ્થિત AB હાઈસ્કૂલમાં કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા અને શારીરિક પરિવર્તનો અંગે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 4 થી 8 ની વિદ્યાર્થિનીઓ તેમજ તેમની માતાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરતના જાણીતા સર્જન અને સોશિયલ એક્ટિવિસ્ટ ડો. અમી યાજ્ઞિકે સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સામાન્ય રીતે સમાજમાં જે વિષય પર ચર્ચા કરતા સંકોચ અનુભવાય છે, તેવા માસિકસ્ત્રાવના વિષય પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખુલીને વાત કરી હતી. વહેલા માસિક આવવાના કારણો અને જીવનશૈલીડો. યાજ્ઞિકે જણાવ્યું કે સામાન્ય રીતે માસિક શરૂ થવાની ઉંમર 10 થી 15 વર્ષની હોય છે, પરંતુ વર્તમાન સમયમાં જીવનશૈલીના બદલાવને કારણે 9 વર્ષની નાની ઉંમરે પણ માસિક આવવાની શરૂઆત થઈ શકે છે. આ માટે જંક ફૂડનો વધુ પડતો વપરાશ, કોસ્મેટિક્સનો ઉપયોગ, મોબાઈલનું વળગણ અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ મુખ્યત્વે જવાબદાર છે. શારીરિક પ્રક્રિયા અને સ્વાસ્થ્યની કાળજીસેમિનારમાં સ્ત્રી-પુરુષ પ્રજનન તંત્રની કાર્યપદ્ધતિ અને ગર્ભધારણની પ્રક્રિયા વિશે સરળ સમજ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, માસિક દરમિયાન શરીરમાંથી આશરે 40થી 60 ml લોહી વહી જાય છે, જે કુદરતી રીતે ફરી બની જાય છે. જો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર 10થી ઓછું હોય તો થાક લાગવો અને અભ્યાસમાં એકાગ્રતા ન રહેવી જેવી સમસ્યાઓ સર્જાય છે. યોગ્ય આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ લેવાથી માસિક દરમિયાન થતી તકલીફો અને 'મૂડ સ્વિંગ્સ' (માનસિક ફેરફારો) ને સહજતાથી સંભાળી શકાય છે. સંકોચ છોડી ખુલીને વાત કરવા અપીલકિશોરીઓમાં માસિકને લઈને જોવા મળતી મૂંઝવણ અને શરમ દૂર કરવા પર ભાર મુકતા ડોક્ટરે સલાહ આપી હતી કે, આ એક કુદરતી પ્રક્રિયા છે. આ બાબતે મૂંઝાવવાને બદલે પોતાની માતા કે વિશ્વાસુ વ્યક્તિ સાથે સ્પષ્ટપણે ચર્ચા કરવી જોઈએ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપી તેમની જિજ્ઞાસા સંતોષવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:02 pm

ભાવનગર રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું, 25 હજાર લોકો ઉમેટ્યા:ટીમલી ડાન્સ, સ્કેટિંગના વિવિધ કરતબે આકર્ષણ જમાવ્યું, સાંજે સાંઈરામ અને કિર્તિદાન ગઢવીનો કાર્યક્રમ

ભાવનગર શહેર આજે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમની યાત્રામાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવમાં આદિવાસી ટીમલી ડાન્સ અને સ્કેટિંગ કરતા બાળકોના વિવિધ સાહસિક કરતબોએ ઉપસ્થિત જનમેદનીમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દિવસભરના ઉત્સાહ બાદ, સાંજે લોકપ્રિય કલાકાર સાંઈરામ દવે અને સુપ્રસિદ્ધ ગાયક કિર્તિદાન ગઢવીના લોકડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 હજારથી વધુ વિધાર્થીઓ અને 13 હજાર કરતા વધુ શહેરીજનો ઉમેટ્યાસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આજરોજ ભાવનગરમાં 'વંદે માતરમ' મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના કાળિયાબીડ ટાંકીથી સંતો મહંતો દ્વારા આ વિશાળ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને યાત્રામાં 12 હજારથી વધુ વિધાર્થીઓ અને 13 હજાર કરતા વધુ વહાલીઓ અને શહેરીજનો આ મહોત્સવમાં જોડાયા હતાં. યાત્રા પૂર્ણ થયેથી જવાહર મેદાન ખાતે રાષ્ટ્રભક્તિના ગીતો, સાહિત્યનો સંગમ અને આકાશમાં 450થી વધુ ડ્રોન દ્વારા રચાનારો ભવ્ય 'ડ્રોન શો' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. કેસરીયા-પીળા રંગે રંગાઈને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યુંસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર દ્વારા આજે 11 જાન્યુઆરી, 2026ના રોજ એક અભૂતપૂર્વ દેશભક્તિ મહોત્સવ 'વંદે માતરમ -દેશ કી ધડકન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા ભાવનગર કેસરીયા-પીળા રંગે રંગાઈને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું હતું. 25,000થી વધુ ભાવનગરના નાગરિકો આ રેલીમાં જોડાયાશહેરના કાળીયાબીડ પાણીની ટાંકીથી સંતો મહંતોના હસ્તે વિશાળ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, અંદાજે યાત્રામાં 12 હજારથી વધુ વિધાર્થીઓ અને 13 કરતા વધુ વહાલીઓ અને શહેરીજનો સાથે 25,000થી વધુ ભાવનગરના નાગરિકો આ રેલીમાં જોડાયા છે. ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસને જીવંત કરવા 400 બાલિકાઓ 'ભારત માતા' અને 300 વિદ્યાર્થીઓ 'સરદાર પટેલ'ના વેશમાં સજ્જ થઈ યાત્રામાં જોડાયા હતા, યાત્રામાં ટીમલી નૃત્ય, સીદી ધમાલ, રાસ ગરબા અને નાસિક ઢોલના નાદ સાથે બ્લેક કમાન્ડોના કરતબો અને સ્કેટિંગના દ્રશ્યો આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. 400થી વધુ બાળકો એકસાથે શંખનાદ કરીને સમગ્ર વાતાવરણને ગુંજતું કર્યુંઆ યાત્રા શહેરના અક્ષરવાડી, ગુલીસ્તા અને આતાભાઇ સર્કલ થઈને સાંજે 4:30 કલાકે જવાહર મેદાન ખાતે પહોંચી. 400થી વધુ બાળકો એકસાથે શંખનાદ કરીને સમગ્ર વાતાવરણને દિવ્ય અને ગુંજતું કર્યું. સાંજે જવાહર મેદાન ખાતે આયોજિત સભામાં નાના ભૂલકાઓ દ્વારા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું ગાન કરવામાં આવશે. સાંજે સાંઈરામ દવે અને કિર્તીદાન ગઢવી મોજ કરાવશેલોકપ્રિય હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવે 'વંદે માતરમ'ના ગૌરવવંતા ઇતિહાસની ગાથા સંભળાવશે. જ્યારે લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના રાષ્ટ્રભક્તિના ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. 450થી વધુ ડ્રોન દ્વારા વિરાટ આકૃતિઓ બનશેઆ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રિના આકાશમાં જોવા મળશે, 450થી વધુ ડ્રોન દ્વારા આકાશમાં 'વંદે માતરમ' અને 'સરદાર પટેલ'ની વિરાટ આકૃતિઓ કંડારવામાં આવશે. ભાવનગરના ઈતિહાસમાં આ કક્ષાનો ડ્રોન શો પ્રથમવાર યોજાઈ રહ્યો છે, સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભાવનગરના તમામ દેશપ્રેમી જનતાને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને વંદે માતરમના નાદ સાથે રાષ્ટ્રભાવનામાં જોડાશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:54 pm

રોડ પર સ્ટન્ટ કરનાર 4 શખસને ટ્રાફિક પોલીસે ઝડપ્યા:પકડાયેલા શખસોએ વીડિયો દ્વારા માફી માંગી, નિયમો પાળવાની ખાતરી આપી

જામનગર ટ્રાફિક પોલીસે જાહેર રસ્તાઓ પર ભયજનક રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટન્ટનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. પકડાયા બાદ તેમણે વીડિયો મારફતે માફી માંગી, ભવિષ્યમાં આવા કૃત્યો ન કરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ સોશિયલ મીડિયા પર કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ અંતર્ગત, 4 જાન્યુઆરી, 2026ના રોજ એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર રીલ અપલોડ કરવામાં આવી હતી, જેમાં કેટલાક ઇસમો બાઇક પર સ્ટન્ટ કરતા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી જાહેરમાં અવરોધ ઉભો કરતા જોવા મળ્યા હતા. DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના PI એમ.બી. ગજ્જરે આ વીડિયોની તપાસ કરવા સૂચના આપી હતી. PSI એ.એચ. ચોવટ અને સ્ટાફના સત્યજીતસિંહ વાળાએ વીડિયોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે આ ઘટના 26 ડિસેમ્બર, 2025ના રોજ જામનગરના નાગનાથના નાકા પાસે બની હતી. વીડિયો અને માનવ સંસાધનોના આધારે, ટ્રાફિક શાખાએ આજે બાઇક સહિત કુલ ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. તેમના વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281, 126(2), 54, એમ.વી. એક્ટ કલમ 184, 177 અને જી.પી. એક્ટ કલમ 111/117 હેઠળ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર પોલીસે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, શહેરનો કોઈ પણ ખૂણો પોલીસની નજરથી દૂર નથી. નાગરિકો સી.સી.ટી.વી. કેમેરા હેઠળ સર્વેલન્સમાં છે. ગુનાહિત કૃત્ય કરતા સી.સી.ટી.વી. કેમેરા કે સોશિયલ મીડિયામાં કેદ થશો તો તાત્કાલિક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી PI એમ.બી. ગજ્જર, PSI એ.એચ. ચોવટ અને સ્ટાફના સત્યજીતસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:49 pm

આ દૃશ્યો જોઈ પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો:સુરતમાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીના 20થી વધુ સ્થળો પર પાલિકાનો દરોડો, સડેલા બટાટા, ખરાબ પુરી અને પાણીનો ગટરમા નાશ કરાયો

સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા પાણીપુરી બનાવવાના એકમો પર આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા ગંભીર બેદરકારીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાંડેસરા અને રાંદેર જેવા વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી પાણીપુરીનો હજારો કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ગંદકી અને દુર્ગંધ વચ્ચે તૈયાર થતી હતી પાણીપુરીપાલિકાની ટીમને મળેલી બાતમીના આધારે રાંદેર અને પાંડેસરાના આશાપુરી, ગોવાલક નગર અને ક્ષેત્રપાલ નગર જેવા ગીચ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જે સ્થળોએ પાણીપુરી અને તેનો મસાલો તૈયાર કરવામાં આવતો હતો, ત્યાં ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. અત્યંત દુર્ગંધ મારતી જગ્યાઓ પર ખુલ્લામાં બટેટા બાફવામાં આવતા હતા અને ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સડેલા બટેટા અને હાનિકારક તેલનો વપરાશઆરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મસાલા માટે વપરાતા બટેટા સડી ગયેલા અને જીવાતવાળા જોવા મળ્યા હતા. પુરી તળવા માટે વારંવાર ગરમ કરેલા અને કાળા પડી ગયેલા તેલનો ઉપયોગ થતો હતો. પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે શુદ્ધતાના કોઈ ધોરણો જળવાતા નહોતા. પાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે ૨૦થી વધુ સ્થળો પર કામગીરી બંધ કરાવી દીધી હતી. હજારો લિટર દૂષિત પાણીને ગટરમાં વહાવી દેવામાં આવ્યું હતું અને સડેલા બટેટા તેમજ ખરાબ પુરીનો કચરામાં નિકાલ કરવામાં આવ્યો હતો. 20થી વધુ સ્થળો પર તવાઈઆરોગ્ય વિભાગે આશાપુરી અને ક્ષેત્રપાલ નગરમાં આવેલા પાણીપુરી બનાવવાના દુકાનો પર દરોડા પાડીને તમામ ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. આ સ્થળો પર ખાદ્ય સલામતીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. પાલિકાએ આ તમામ એકમોને નોટિસ ફટકારી છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની કડક કાર્યવાહીની ચીમકીઆરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં. જો આગામી દિવસોમાં પણ સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો આ એકમોને કાયમી ધોરણે સીલ કરવાની અને લાયસન્સ રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર મળતી પાણીપુરી કેટલી હદે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ જીવંત પુરાવો છે. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ખાણી-પીણીની વસ્તુઓની ગુણવત્તા બાબતે સજાગ રહે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:25 pm

હિંમતનગરમાં બહેરા-મૂંગા રાજ્ય કક્ષાની વોલીબોલ ફાઇનલ:ત્રણ કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની મેચ રમાઈ, વિજેતા ટીમો બેંગલોર જશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સાબર ઇન્ડોર સ્ટેડિયમમાં બહેરા-મૂંગા વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાની ફાઇનલ મેચો યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની ટીમો વચ્ચે ત્રણ કેટેગરીમાં મુકાબલા થયા હતા. આ ટુર્નામેન્ટનું આયોજન ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ યજમાનપદે હતું. શનિવારે લીગ મેચો રમાયા બાદ રવિવારે સવારથી નોકઆઉટ રાઉન્ડ અને ત્યારબાદ ફાઇનલ મેચો યોજાઈ હતી. સાબરકાંઠા દિવ્યાંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઋત્વિક સિંધીએ માહિતી આપી હતી કે, આ વોલીબોલ સ્પર્ધામાં ત્રણ કેટેગરી હતી. 18 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો, 18 વર્ષથી ઉપરના ભાઈઓની 9 અને બહેનોની 4 ટીમો, તેમજ 16 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો મળી કુલ 29 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચોમાં બહેનોની અંડર-16 કેટેગરીમાં એસ.જી. બ્રહ્મભટ્ટ નડિયાદ વિજેતા બન્યું હતું, જેણે પ્રાથમિક શાળા કછોલી નવસારીને હરાવ્યું હતું. અંડર-18 કેટેગરીમાં પણ એસ.જી. બ્રહ્મભટ્ટ નડિયાદે પ્રાથમિક શાળા કછોલી નવસારીને હરાવી વિજય મેળવ્યો હતો. એબવ-18 કેટેગરીમાં ભાવનગરની શ્રી શાહ કે. લિન્સ્ટિટ્યૂડ બહેરા-મૂંગા સ્કૂલે નડિયાદની ઉષ્મા બધિર વિદ્યા વિહારને હરાવી જીત મેળવી હતી. ભાઈઓની ફાઇનલ મેચોમાં અંડર-18 કેટેગરીમાં એસ.જી. બ્રહ્મભટ્ટ નડિયાદ વિજેતા બન્યું હતું, જેણે પ્રાથમિક શાળા કછોલી નવસારીને પરાજય આપ્યો હતો. અંડર-16 કેટેગરીમાં પી.એસ. કોઠારી નવસારીએ પ્રાથમિક શાળા કછોલી નવસારીને હરાવી જીત મેળવી હતી. એબવ-18 કેટેગરીમાં ગાંધીનગર બધિર મિત્ર મંડળે મોડાસા મુક બધિર માનવ સેવા ટ્રસ્ટને હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ત્રણેય કેટેગરીમાં વિજેતા બનેલી ટીમો આગામી જૂન 2026માં બેંગલોર ખાતે યોજાનાર નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:22 pm

લાલ દરવાજા આવી જા, તારું મર્ડર કરી નાખીશ:પાલડીમાં કારચાલકે ટુ-વ્હીલર ચાલકને છરી બતાવી રૌફ જમાવ્યો, કાર સ્પીડમાં ચલાવે છે એવું કહેતા રોષે ભરાયો

અમદાવાદ શહેરના પાલડી ચાર રસ્તા વિસ્તારમાં ગઈકાલે બપોરે એક નાની બાબતને લઈને ટુ-વ્હીલર અને કારચાલક વચ્ચે થયેલી સામાન્ય તકરાર ઝડપથી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ, જેમાં કારચાલકે જાહેર રસ્તા પર જ ગાડીમાંથી છરી કાઢીને ટુ-વ્હીલર ચાલકને મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયોના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે, જેમાં કારચાલકે લાલ દરવાજા આવી જા, તારું મર્ડર કરી નાખીશ જેવા અપશબ્દો બોલીને ધમકી આપતો જોવા મળે છે. ભોગ બનનાર ટુ-વ્હીલર ચાલકે તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં જાહેર સ્થળે હથિયારોના ઉપયોગ અને રૌફ જમાવવાના વધતા કિસ્સાઓ પર ચિંતા વધારી છે. ટુ-વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે તકરાર થઈ હતીગઈકાલે બપોરના સમયે 2 વાગ્યા આસપાસ પાલડી ચાર રસ્તા પાસે ગાડી એક ટુ-વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે તકરાર થઈ હતી. પાલડી ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકે એક અજાણ્યા કાર ચાલકને તું ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવીને લોકોને નુકશાન પહોંચે તે રીતે ચલાવતો હોવાનું કહ્યું હતું. આટલું કહેતા જ અજાણ્યો કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. જેથી સામાન્ય બાબતે ટુ વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કારચાલકે ધોળા દિવસે જાહેર રસ્તા પર હથિયાર બતાવીને ધાકધમકી આપીસામાન્ય બોલાચાલી બાદ જોતજોતામાં આ ઝઘડો વધી ગયો હતો. તેમજ તે બાદ જાહેર રસ્તા પર જ કાર ચાલક પોતાની ગાડીમાં રાખેલી છરી કાઢીને ટુ-વ્હીલર ચાલક સામે ઉગામી હતી. કાર ચાલકે ટુ-વ્હીલર ચાલકને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કાર ચાલકે ટુ-વ્હીલર ચાલકને ધમકી આપી હતી કે, લાલ દરવાજા આવી જા, તારું મર્ડર કરી નાખીશ. ધોળા દિવસે જાહેર રસ્તા પર હથિયાર બતાવીને ધાકધમકી આપતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. એલિસબ્રિજ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જોકે, તે બાદ અજાણ્યો કારચાલક ત્યાંથી રવાના થઈ ગયો હતો. પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને ટુ-વ્હીલર ચાલકે તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીની ઓળખ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:10 pm

એક્ટિવા બચાવવા જતાં બસ પલટી, 2ના મોત:હારીજમાં વડીલ વંદના કાર્યક્રમમાંથી પરત ફરતા પાટીદારોને અકસ્માત નડ્યો, 18 ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા

પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર એક્ટિવા ચાલકને બચાવવા જતા લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાંચ ગામ લેઉવા પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી વડીલો પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓની બસનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ, પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 'વડીલ વંદના' કાર્યક્રમમાં હાજરી આપીને વડીલો લકઝરી બસ મારફતે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હારીજ ITI કોલેજ પાસે અચાનક એક એક્ટિવા સવાર આડો ઉતરતા બસ ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના સમાચાર પ્રસરતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોને સત્વરે સારવાર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:06 pm

જુના વાડજ બસ-સ્ટેન્ડ નજીક રોંગસાઈડમાં ટ્રેલરે એકને અડફેટે લેતાં મોત:સાબરમતીમાં બુલેટ ટ્રેન કામગીરીના બે લાખના મશીનની ચોરી

અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે રોંગ સાઈડમાં ટ્રેલર ચાલકે ટ્રેલર ચલાવીને આવ્યો હતો અને કોઈ અજાણ્યો રાહદારી ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેન કામગીરીના બે લાખના મશીનની ચોરી થઈની ફરિયાદ નોંધાઈ છે. રોંગસાઈડમાં ટ્રેલરચાલકે આવીને એકને અડફેટે લેતાં મોતજુના વાડજ વિસ્તારમાં આવેલા એક રાહદારીએ રાત્રિના સમયે હાજર પોલીસ કર્મચારીને કહ્યું હતું કે આગળ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે જેથી પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યો હતો. તેમણે જોયું તો એક મોટું ટ્રેલર ત્યાં પડ્યું હતું અને આશરે 45 વર્ષનો એક વ્યક્તિ રોડ ઉપર મરણ ગયેલી હાલતમાં પડેલો હતો. બ્રિજના મોટા સ્લેબ લઈ જતી ટ્રેલર ત્યાં પડેલી હતી રોંગ સાઈડમાં આ ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ચલાવી અને અજાણ્યા વ્યક્તિને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. કોઈ પણ પ્રકારનું સેફ્ટીનું ધ્યાન રાખ્યા વિના આ રીતે અકસ્માત સર્જતા તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બુલેટ ટ્રેન કામગીરીના બે લાખના મશીનની ચોરીસાબરમતી વિસ્તારમાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં વિવિધ મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બે લાખ રૂપિયાની મશીનરી અને સાધનોની ચોરી થઈ હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સાબરમતી રેલવે સ્ટેશન નજીક બુલેટ સ્ટેશનની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ સાધનોને ઓફિસમાં મૂકવામાં આવતા હોય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સર્વેયર મેનેજરે ફરિયાદ નોંધાવી1 જાન્યુઆરીના રોજ આ મશીનરીનો ઉપયોગ કરી અને તે ટુલ કીટને ઓફિસમાં મૂકવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે બોક્સમાં જોતા સાધનો ગાયબ હતા. જેથી આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સર્વેયર મેનેજર દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં બે લાખ રૂપિયાના સાધનોની ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 4:03 pm

બનાસકાંઠા LCBએ ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપ્યો:ઇનોવા કારમાંથી ₹10.64 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ ₹10,64,695/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમીના આધારે ચિત્રાસણી ખાતે તિરંગા હોટલ સામે હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન GJ.01.WS.4305 નંબરની ઇનોવા કારમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 35 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,64,696/- છે. દારૂ અને કાર સહિત કુલ ₹10,64,695/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, કારનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:54 pm

ગોધરામાં વેપારીઓ-ગ્રાહકોનો ચાઈનીઝ દોરી ન વાપરવાનો નિર્ણય:ઉતરાયણ પૂર્વે લાલબાગ બજારમાં પતંગ રસિકોની ભીડ

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પતંગબાજીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં પણ આ વખતે ભારે ઉમંગ છવાયો છે. ગોધરાના લાલબાગ પતંગ બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ ઉમટી પડી છે. બજારમાં સવારથી જ પતંગ અને ફિરકીની ખરીદી માટે લોકોની કતારો જોવા મળી રહી છે. આ વખતે વિવિધ કાર્ટૂન કેરેક્ટર, સોશિયલ મીડિયા થીમ અને આકર્ષક રંગોવાળી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને માંજો પીવડાવનારા કારીગરો પાસે લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં લોકો કાચના પાયા ચડાવેલી દોરી તૈયાર કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ બાદ લોકો ફરી એકવાર સુરતી અને દેશી માંજા તરફ વળ્યા છે. ગોધરાના પતંગ વેપારીઓ અને ગ્રાહકોએ સ્વેચ્છાએ ચાઈનીઝ દોરી ન વેચવા કે ન ખરીદવાનો નિર્ણય લીધો છે, જેના કારણે પરંપરાગત માંજાની માંગમાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:51 pm

તરઘરામાં કોળી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ:બગદાણાની ઘટના મુદ્દે ન્યાય નહીં મળે તો 1 લાખ લોકોના મહાસંમેલનની ચીમકી

બોટાદ જિલ્લાના તરઘરા ગામે માંધાતા ગ્રુપ દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રોત્સાહન સાથે સામાજિક ન્યાયના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી હતી. બગદાણાની ઘટનામાં પીડિત આગેવાન નવનીત બાલધીયાને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં તરઘરા ખાતે 1 લાખ લોકોની હાજરીમાં ગુજરાતનું પ્રથમ મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. બગદાણાની ઘટના મુદ્દે આંદોલનનું એલાનમાંધાતા ગ્રુપના બોટાદ જિલ્લા પ્રમુખ મયુર જમોડે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, બગદાણાની ઘટનાના પીડિત નવનીત બાલધીયાને જો વહેલી તકે ન્યાય નહીં મળે, તો કોળી સમાજ એકજૂટ થઈ આંદોલનાત્મક માર્ગ અપનાવશે. આ લડતના ભાગરૂપે તરઘરામાં વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. 1,000થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનઆ કાર્યક્રમમાં જિલ્લાના 1,000 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશની રક્ષા કાજે શહીદ થયેલા બોટાદ જિલ્લાના કોળી સમાજના જવાનોના પરિવારજનોનું પણ વિશેષ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. શિક્ષણ સંકુલ નિર્માણની ખાતરીકાર્યક્રમમાં ઉપસ્થિત બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોળી સમાજના અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તેમના માટે પૂરતી સુવિધાયુક્ત શિક્ષણ સંકુલનો અભાવ છે. આ જરૂરિયાતને ધ્યાને રાખી આગામી સમયમાં બોટાદમાં અદ્યતન શિક્ષણ સંકુલ ઊભું કરવાની તેમણે ખાતરી આપી હતી. સામાજિક સુધારણા પર ભારકાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, યુવાનોને વ્યસનમુક્ત બનાવવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે હાકલ કરી હતી. આ પ્રસંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પુજા વંશ, રાજેશ ગોહિલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:50 pm

હિંમતનગરમાં SOGએ ₹1.98 લાખના ગાંજા સાથે એક પકડ્યો:બે ફરાર સહિત ત્રણ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

હિંમતનગરના ધાણધા નજીક સાબરકાંઠા SOGએ ₹1.98 લાખની કિંમતના 3.975 કિલોગ્રામ ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા SOGના PI ડી.સી. પરમારે જણાવ્યું કે, PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ઈડર તરફથી પાલીયાબીયા ગામનો વિષ્ણુ બાબુભાઈ ગમાર ધાણધા ગામના નાકે હાઈવે પર થેલામાં માદક પદાર્થ (ગાંજો) લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે ધાણધા પાસે રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ ચાલીને આવી રહેલા વિષ્ણુ ગમારને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તેની પાસેથી ₹1,98,750 ની કિંમતનો 3.975 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹5,000 ની કિંમતનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો, આમ કુલ ₹2,03,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર (ઉં.વ. 28, રહે. પાલીયાબીયા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) છે. આ ઉપરાંત, ફજાભાઈ આદિવાસી (રહે. ટીલરવા, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન) અને અંકિત (રહે. અમદાવાદ, ઇન્દિરા બ્રિજ) નામના બે આરોપીઓ ફરાર છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:47 pm

જામનગરમાં પક્ષીઓને ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા:લાખોટા તળાવના પક્ષી ઘરમાં નેટ-પડદા અને માટલા મુકાયા

જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધતા મહાનગરપાલિકા દ્વારા પક્ષીઓને શીતલહેરથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના લાખોટા તળાવ સ્થિત પક્ષી ઘરમાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે નેટ, પડદા અને નાના માટલા મૂકવામાં આવ્યા છે. લાખોટા તળાવના આ પક્ષી ઘરમાં હાલ 28 પાંજરા કાર્યરત છે, જેમાં 600થી વધુ વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાની ઋતુમાં પક્ષીઓને ઠંડા પવનથી બચાવવા માટે પાંજરાઓની ફરતે નેટ અને જાડા પડદા બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, પક્ષીઓ આશ્રય લઈ શકે તે માટે નાના માટલા પણ મૂકવામાં આવ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. તાજેતરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ઠંડીના આ ચમકારાની અસર માનવીઓ સાથે પશુ-પંખીઓ પર પણ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શિયાળાની સિઝનમાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે આવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ વ્યવસ્થાથી પક્ષીઓને ઠંડીની પ્રતિકૂળ અસરોથી બચાવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:46 pm

વડોદરામાં અફઘાનિસ્તાની વિદ્યાર્થીનું રહસ્યમય મોત:MS યુનિવર્સિટીમાં Ph.D કરતા અફઘાન યુવકનો ફતેગંજના રૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી, આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગત

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી વિદેશી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતક 34 વર્ષીય યુવક અફઘાનિસ્તાનનો નાગરિક હતો અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ. યુનિવર્સિટી)માં આર્કિટેક્ચર વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. શનિવારે રાત્રિના સમયે યુવકનો મૃતદેહ તેના જ રૂમમાંથી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. બંધ રૂમમાંથી વિદેશી યુવકનો મૃતદેહ મળ્યોપ્રાપ્ત માહિતી મુજબ, આ વિદેશી વિદ્યાર્થી ફતેગંજ વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં એકલો રહેતો હતો. 10 જાન્યુઆરીની રાત્રે તેના રૂમમાંથી કોઈ હરકત ન જણાતાં શંકા ઉઠી હતી. ત્યારબાદ રૂમ તપાસતા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાની વિગતપોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે આ બનાવમાં આપઘાત હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ યુવકે આપઘાત શા માટે કર્યો અથવા તેની સાથે કોઈ અન્ય ઘટના બની છે કે કેમ તે બાબતે કોઈ નિષ્કર્ષ હજુ આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચુ કારણ સામે આવશેહાલમાં પોલીસ દ્વારા મૃતકના મોબાઇલ ફોનને કબજે લેવામાં આવ્યો છે. આ ઘટનામાં આપઘાત છે કે અન્ય કોઈ કારણ તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલમાં આ મામલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:36 pm

જૂનાગઢમાં લાયસન્સ વગર ધમધમતી ફટાકડાની દુકાન ઝડપાઈ:​SOGએ આઝાદ ચોક પાસે ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો ગેરકાયદે જથ્થો જપ્ત કર્યો

ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને વેચાણ માટે કડક નિયમો અને લાયસન્સ હોવું અનિવાર્ય છે. લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને માનવ જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ જૂનાગઢ SOGએ લાયસન્સ વગર ધમધમતા ફટાકડાના ગોડાઉન પર રેડ કરી ₹ 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગેરકાયદેસર સ્ફોટક પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર વોચ રાખવા ખાસ ઝુંબેશ જૂનાગઢ રેન્જના આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર સ્ફોટક પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર વોચ રાખવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની ટીમને બાતમી મળી હતી કે શહેરના આઝાદ ચોક પાસે આવેલી એક દુકાનમાં પરવાના વગર ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. ​SOGના ASI વિક્રમભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ‘જલારામ સીઝનલ સ્ટોર’ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં તપાસ કરતા વેપારી નયન રસીકભાઈ ભાયાણી પાસે ફટાકડાના વેચાણ કે સંગ્રહ માટેનું કોઈ કાયદેસરનું લાયસન્સ મળી આવ્યું નહોતું. ફાયર સેફ્ટીના સાધનો વગર જ ફટાકડાનો સંગ્રહ કર્યો હતોપોલીસ તપાસમાં બહાર આવ્યું કે, વેપારીએ કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર અત્યંત જોખમી રીતે અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. આ બેદરકારીને કારણે પોતાની તેમજ આસપાસના લોકોની જિંદગી જોખમમાં મુકાય તેમ હોય પોલીસે કડક કાર્યવાહી કરી હતી. 32 લાખથી વધુના ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતોપોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો કુલ ₹32,63,673/- નો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ રેડમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ કુવાડીયા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:32 pm

શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ:32 આંતરરાષ્ટ્રીય અને દેશના 11 રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો, આકાશ રંગબેરંગી અને કલાત્મક પતંગો છવાઈ

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન ક્ષેત્રે રાજ્યના વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશ-વિદેશના પતંગબાજોનું આકર્ષણઆ મહોત્સવમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય અને 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આકાશમાં વિવિધ આકાર, આકર્ષક રંગો અને કલાત્મક ડિઝાઇન ધરાવતા વિશાળ પતંગો ઉડાડવામાં આવ્યા હતા, જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનમહોત્સવની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પરંપરાગત રાસની પ્રસ્તુતિ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગોના પ્રદર્શન દ્વારા પતંગ કળાની વિવિધતા રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિકાર્યક્રમ દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોથી પ્રદેશના પર્યટનને વેગ મળે છે. INS કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન શશાંક શર્માએ પતંગ રસિકોનું અભિવાદન કરી કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ ઉજવણીમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. માલદીવ કે મોરેશિયસ જેવો દરિયાકિનારોભગવાન દ્વારકાધીશની નગરીથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર બીચ આજે પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની ગયો છે. દરિયાના કાંઠે પથરાયેલી દૂધ જેવી સફેદ રેતી અને કાચ જેવું ચોખ્ખું ભૂરા રંગનું પાણી પ્રવાસીઓને માલદીવ કે મોરેશિયસના દરિયાકિનારાની યાદ અપાવે છે. પરંતુ આ બીચની અસલી ઓળખ તેની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી છે, જેના કારણે તેને પ્રતિષ્ઠિત 'બ્લૂ ફ્લેગ' (Blue Flag) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. શું છે 'બ્લૂ ફ્લેગ' બીચ?ડેનમાર્કની સંસ્થા 'ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન' (FEE) દ્વારા વિશ્વના સૌથી સ્વચ્છ અને સુરક્ષિત બીચને 'બ્લૂ ફ્લેગ' આપવામાં આવે છે. આ ટેગ મેળવવા માટે અંદાજે 33 જેટલા કડક માપદંડો પૂર્ણ કરવા પડે છે, જેમાં પાણીની ગુણવત્તા, પર્યાવરણ વ્યવસ્થાપન, સુરક્ષા અને સેવાઓનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ આ તમામ માપદંડોમાં ખરો ઉતર્યો છે. પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્રો શિવરાજપુર માત્ર શાંતિ માટે જ નથી, પરંતુ અહીં એડવેન્ચરના રસિયાઓ માટે પણ ઘણું બધું છે. સ્કુબા ડાઇવિંગ: અહીંના સ્પષ્ટ પાણીમાં દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલ રીફ (પરવાળા) જોવાનો લ્હાવો અદભૂત છે. વોટર સ્પોર્ટ્સ: પેરાસેલિંગ, બનાના રાઈડ અને જેટ સ્કી જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. શાંતિ અને સૂર્યાસ્ત: અહીંનો સૂર્યાસ્તનો નજારો ફોટોગ્રાફીના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓ: બીચ પર સોલર એનર્જી, બેટરી સંચાલિત વાહનો અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કેવી રીતે પહોંચવું? હવાઈ માર્ગ: નજીકનું એરપોર્ટ જામનગર (145 કિમી) અથવા પોરબંદર છે. રેલવે: દ્વારકા રેલવે સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે. રોડ માર્ગ: દ્વારકાથી ઓખા હાઈવે પર ખાનગી ટેક્સી અથવા બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. પ્રવાસ માટે શ્રેષ્ઠ સમયઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે બીચની મુલાકાત લેતા પહેલા સત્તાવાર સમય અને એન્ટ્રી ફીની તપાસ કરી લેવી. નિષ્ણાતોનું માનવું છે કે, શિવરાજપુર બીચના વિકાસથી સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે અને ગુજરાતના પર્યટન ક્ષેત્રને વૈશ્વિક ઓળખ મળી છે. રાજ્ય સરકાર હવે આ બીચને હજુ વધુ આધુનિક બનાવવા માટે બીજા તબક્કાના વિકાસ કાર્યો કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:30 pm

ગોધરામાં ઉત્તરાયણ માટે માર્ગ સુરક્ષા અભિયાન શરૂ:વાહનચાલકોને નેક બેલ્ટ અને સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ દોરીથી થતી ગંભીર ઈજાઓ અને અકસ્માતોને અટકાવવાના હેતુથી આ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. આ અંતર્ગત વાહનચાલકોને નેક બેલ્ટ અને સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ગોધરા દ્વારા ગોધરાના ચર્ચ વિસ્તાર ખાતે આ સેફ્ટી ગાર્ડ અને નેક બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઝુંબેશ હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ પંચમહાલના સહયોગથી યોજાયો હતો. ચર્ચ પાસેના પોલીસ પોઈન્ટ પર મોટી સંખ્યામાં દ્વિચક્રીય વાહનચાલકોએ આ સુરક્ષા સાધનોનો લાભ લીધો હતો. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બિંદ્રા જાડેજા, ટ્રાફિક જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર કરુણાબેન ડાભી, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસૈયા, ગોધરા ટ્રાફિક પી.એસ.આઇ મયુરધ્વજસિંહ ચૌહાણ અને ટ્રાફિક પીએસઆઇ ડી.એન. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના પ્રમુખ કેતકી સોની સહિત સભ્યો પ્રભુદયાલ વર્મા, હેમંત વર્મા, કેતન શર્મા, શિરીષ મહેતા, જયેન્દ્ર સુથાર, મહેબૂબ બકકર, જયદીપ ગોર, પ્રદિપ સોની અને લાયન્સ ક્લબ ફાઇવસ્ટારના પ્રમુખ જલ્પિકા વર્મા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વાહનચાલકોને ઉત્તરાયણ પર્વ દરમિયાન માર્ગ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ગોધરા શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ, અગ્રણી કાર્યકરો મહેશ કામનાની, જયેન્દ્ર તલાર, લક્ષ્મણભાઈ ફોટોગ્રાફર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. લાયન્સ ક્લબ દ્વારા આ પહેલ થકી જનજાગૃતિ સાથે માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:27 pm

મેચની ટિકિટની કાળા બજારી કરતા પકડાયા:ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ મેચની ટિકિટો બ્લેકમાં વેચનાર બે કાળા બજારીની ધરપકડ, એક ટિકિટના 5 ગણા રૂપિયા વસુલતા હતા, પોલીસે 17 ટિકિટો જપ્ત કરી

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચની ટિકીટની કિંમત કરતાં પાંચ ગણા ભાવે કાળાબજારમાં વેચાણ કરતા 2 શખ્સોને વડોદરાના ભાંડવાડા પાસેથી ટીકીટો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. વન ડે ક્રીકેટ મેચની લેવલ 1,2 અને 3 ની કુલ ટીકીટ નંગ- 17 તમામ કુલ રૂપીયા 31000ની કિંમતની ટીકીટો કબ્જે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના કોટંબી સ્ટેડીયમ ખાતે આજે 11 જાન્યુઆરીના રોજ ભારત-ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાઈ રહી છે અને આ વન-ડે મેચની ટીકીટો ગણતરીના મિનીટોમાં વેચાઇ ગઈ હતી. ત્યારે આ તકનો લાભ કેટલાક લોભિયા તત્વો ઉઠાવ્યો હતો. આ વન-ડે મેચની ટીકીટોને કાળાબજાર કરી ટિકિટની મૂળ કિંમત કરતા ઉંચી કીમતમાં આ વન ડે ટીકીટો કાળાબજારમાં વેચાણ કરતા હતા. જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલ તથા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ટીમોને આ વન-ડે મેચની ટીકોટોનો કાળાબજારમાં વેચાણ કરતા શખ્સો ઝડપી પાડવાની સૂચના આપી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ભારત અને ન્યુઝીલેન્ડ ટીમો વચ્ચે રમાનાર વન-ડે મેચની વિતરણ થયેલો ટીકીટોના કાળાબજાર કરવા સાથે બ્લેકમાં ટિકિટ વેચવાની શક્યતા સાથે વન ડે મેચની ટીકીટોના કાળાબજાર કરનાર શખ્સોની શોધખોળ કરવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન ટીમને બાતમી માહીતી મળી હતી કે બે શખ્સો ભાંડવાડા નાકા સેલ પેટ્રોલપંપ પાસે જાહેરમાં ઉભા રહી કોટંબી સ્ટેડીયમ ખાતે ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વન ડે ક્રિકેટ મેચની ટીકીટો બજાર ભાવ કરતા ઉંચા ભાવે વેચાણ કરી કાળા બજારી કરી રહ્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક જ ભાંડવાડા નાકા પહોંચી ગઈ હતી અને બે શખ્સ કેતનકુમાર શાંતીલાલ પટેલ (ઉ.વ.34 રહે.નાની કાછીયાવાડ, છાણી, વડોદરા) તથા (૨) હિતેશકુમાર મુળશંકર જોષી (ઉ.વ.38 રહે.શ્રીધર સોસાયટી, નિઝામપુરા, વડોદરાને ઝડપી પાડ્યા હતા. આ બન્નેની ઝડતી કરતાં કેતનકુમાર પટેલની પાસેથી લેવલ 1 રૂ.2000ની 8 ટીકોટો અને લેવલ-2 રૂ.2000 ની 4 ટીકીટ મળી કુલ 12 ટીકીટ રૂપિયા 24000ની મળી આવી હતી તેમજ તથા હિતેશકુમાર જોષી પાસેથી લેવલ-2 રૂ.2000 ની 2 અને લેવલ-3 રૂ.1000 ની 3 ટીકીટ મળી કુલ 5 ટીકીટ કુલ રૂ.7000ની મળી હતી. આ બન્ને શખ્સો પાસેથી મળી આવેલી ક્રિકેટ મેચની ટીકીટ કુલ નંગ-17ને ટીકીટો વેચાણ કરવા બાબતે પાસ પરમીટ ન હોય જેથી આ બન્ને ઇસમ વન-ડે ક્રિકેટ મેચની ટીકીટો ઓનલાઇન બુકીંગ કરી બજાર ભાવ કરતા ઉંચા ભાવે વેચાણ કરી કાળાબજારી કરતા ટીકીટ કુલ નંગ 17 કબ્જે કરવામાં આવી હતી. ઝડપાયેલા બંને આરોપીના નામ કેતનકુમાર શાંતીલાલ પટેલ (ઉ.વ.34 રહે. નાની કાછીયાવાડ, ખોડીયાર માતાના મંદીર પાસે, છાણી, વડોદરા શહેર) હિતેશકુમાર મુળશંકર જોષી (ઉ.વ.38રહે. શ્રીધર સોસાયટી, પાસપોર્ટ ઓફીસની પાછળ, નિઝામપુરા, વડોદરા શહેર)

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:23 pm

બાયડ પોલીસે ટુ-વ્હીલર પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવ્યા:ઉત્તરાયણ પૂર્વે દોરીથી થતી ઇજા ટાળવા 200 વાહન સુરક્ષિત

બાયડ પોલીસે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે એક અભિયાન શરૂ કર્યું છે. પતંગની દોરીથી થતી ઇજાઓ ટાળવા માટે વાહનો પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. આયર્ન વાયરથી બનેલા આ સેફ્ટી ગાર્ડ ટુ-વ્હીલરના આગળના ભાગમાં લગાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પતંગની તીક્ષ્ણ દોરીથી વાહનચાલકોના ગળા કપાવવા કે અન્ય કોઈ ગંભીર ઇજા થતી અટકાવવાનો છે. બાયડ તાલુકો જિલ્લાનો મોટો તાલુકો હોવાથી અહીં ઉત્તરાયણ પૂર્વે જ પતંગ ચગાવવાનું શરૂ થઈ જાય છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા બે દિવસમાં 200થી વધુ ટુ-વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ ફીટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલું આ પ્રેરણાદાયી કાર્ય ટુ-વ્હીલર ચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવશે અને ઉત્તરાયણ પર્વને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:17 pm

વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ:15 દેશના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીઘો; વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇનના પતંગોથી આકાશ રંગાયું

મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આ પર્વ દાન, પુણ્ય અને સ્નેહનું પ્રતીકઃ પ્રવીણ માળી આ પ્રસંગે સંબોધન કરતા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્તરાયણ એટલે માત્ર પતંગબાજી નહીં, પણ આશા, ઉત્સાહ અને પ્રગતિનું પર્વ છે. સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે અંધકારથી પ્રકાશ તરફની ગતિનું પ્રતીક બને છે. આપણી સંસ્કૃતિમાં આ પર્વ દાન, પુણ્ય અને સ્નેહનું પ્રતીક છે. આપણી આ સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ‘વિદેશી પતંગબાજો આપણી વિરાસત જોઈને મંત્રમુગ્ધ’વધુમાં મંત્રીએ વડનગર શહેરની વિરાસત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડનગર એટલે માત્ર એક શહેર નથી, પણ હજારો વર્ષોના ઈતિહાસની સાક્ષી છે. આજે વડનગર પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનું કેન્દ્ર બન્યું છે. વડનગરમાં આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, કીર્તિ તોરણ જેવા મહત્વના સ્થળો જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આજે જ્યારે વિદેશી પતંગબાજો અહીં આવ્યા છે, તેઓ આપણી વિરાસત જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. 15 જેટલા દેશોના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીઘોઆજે અહીં વડનગરમાં યુ.કે., વિયેતનામ, રશિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના અને ઇન્ડોનેશિયા જેવા 15 જેટલા દેશોના 100 થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ઉપસ્થિત છે. આ મહોત્સવ દ્વારા ગુજરાત ટૂરિઝમ આપણી સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઈ જઈ રહ્યું છે. આ તકે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ પણ પતંગબાજો સાથે પતંગ ઉડાવી પતંગોત્સવમાં સહભાગી થયા હતા. આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા. આ પતંગોત્સવમાં યુ.કે., વિયેતનામ, ટ્યુનિશિયા, રશિયા, ફિલીપીન્સ, મોરેશિયસ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ફ્રાન્સ, આર્જેન્ટિના, કંબોડિયા અને અલ્જીરીયા દેશના 100 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ, ઉત્સાહ અને રોમાંચ આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:17 pm

ભરૂચમાં ભાજપ દ્વારા શિવ પૂજન:સોમનાથ મહાપર્વ નિમિત્તે શક્તિનાથ મહાદેવ મંદિરે વિશેષ અર્ચના

સોમનાથ મહાપર્વના અવસર પર ભરૂચ શહેરના પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ પૂજન-અર્ચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ પ્રદેશ મારૂતિસિંહ આટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, દિવ્યેશ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને દક્ષા પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ સોમનાથ મહાપર્વની ભાવનાને અનુરૂપ શિવભક્તિમાં લીન થઈ ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાપર્વના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. આવા કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને જીવંત રાખવા માટે જરૂરી હોવાનું પણ જણાવાયું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:12 pm

ગુજરાત ભાજપ પ્રમુખ અને મહામંત્રીનું પાટડીમાં આગમન:શ્રી શક્તિ માતાજી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પાટડીની મુલાકાતે આવ્યા હતા. સંગઠનમાં પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ પાટડી મુલાકાત હતી. તેમણે શ્રી શક્તિ માતાજી મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ બંને મહાનુભાવોનું ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉ. રુદ્રદત્તસિંહ ઝાલા, પાટડી યુવરાજ પૃથ્વીસિંહ દેસાઈ અને વિરેન્દ્રસિંહ (વી.સી.) ઝાલા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ કામગીરી જોઈને તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને પાટડી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી દિલીપ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ઠાકોર, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની, મહામંત્રી ભરત દરજી, પ્રતીક પાલીયા સહિત પાટડી નગર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:11 pm

હિંમતનગર બેંક ચૂંટણી: હિંમત હાઈસ્કૂલમાં મતદાન શરૂ:13 બેઠક માટે 42 ઉમેદવાર, 32,876 મતદાર કરશે મતદાન

હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. હિંમત હાઈસ્કૂલ ખાતે 25 રૂમમાં 50 બૂથ પર ઈવીએમ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બેંકની 13 બેઠકો માટે કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં 32,876 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારીની વિગતો અનુસાર, સામાન્ય વિભાગની 10 બેઠકો માટે 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે મહિલા વિભાગની બે બેઠકો માટે પાંચ ઉમેદવારો અને અનુસૂચિત જાતિ/જનજાતિ વિભાગની એક બેઠક માટે આઠ ઉમેદવારો સ્પર્ધામાં છે. મતદાન પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે હિંમત હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેંક દ્વારા મતદાન માટે કુલ 25 રૂમમાં 50 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણી પાંચ વર્ષ માટે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટે યોજાઈ રહી છે. જેમાં વિકાસ પેનલ અને પરિવર્તન પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પેનલો બનાવવામાં આવી છે. ઉમેદવારોએ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા પહેલાથી જ મતદારોનો સંપર્ક શરૂ કરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 3:07 pm

સોમનાથના સાનિધ્યમાં વાડપ્રધાનનો અનોખો અંદાજ:શૌર્યયાત્રામાં ડમરૂં વગાડ્યો, ઢોલ વગાડી ઉત્સાહ વધાર્યો, વીડિયોમાં જુઓ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં ભાગ લીધો. તેમની મુલાકાતના બીજા દિવસે તેઓ આસ્થાના રંગે રંગાયા હતા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પીએમ મોદીએ જળ અને પંચામૃતથી વિશેષ અભિષેક પૂજન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી હતી. આ મુલાકાતનો સૌથી આકર્ષક નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે વડાપ્રધાન 108 અશ્વો સાથે નીકળેલી 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્યયાત્રામાં જોડાયા અને ખુલ્લી જીપમાં ડમરું વગાડ્યો હતો. સોમનાથ મંદિરના રક્ષણ કાજે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, વડાપ્રધાને મંદિર પરિસરની બહાર કલાકારો સાથે ઢોલ વગાડી ભક્તિમય માહોલનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઐતિહાસિક મુલાકાતમાં શૌર્ય, સંસ્કૃતિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, જે જોવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:59 pm

પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો.:જૂનાગઢમાં ઉત્તરાયણ પૂર્વે લોકો અને પક્ષીઓ માટે જોખમી ચાઇનીઝ દોરી સાથે SOG એ કેવડાવાડીના વેપારી ઝડપી આપ્યો, 8 ફિરકી જપ્ત.

આગામી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ છે. પતંગ રસિકો આ દિવસે આકાશમાં પતંગયુદ્ધ ખેલવા આતુર હોય છે, પરંતુ આ આનંદ ક્યારેક કોઈના માટે જીવલેણ સાબિત થાય છે. ખાસ કરીને ચાઇનીઝ અને પ્લાસ્ટિક દોરી થી થતું નુકસાન અત્યંત ગંભીર હોય છે. આ દોરીથી અનેક પક્ષીઓના પાંખ કપાય છે અને અકાળે મૃત્યુ થાય છે, સાથે જ રાહદારીઓ અને વાહનચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે. આ જોખમને ધ્યાને રાખી સરકાર દ્વારા આવી દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો નફાની લાલચે તેનું વેચાણ કરે છે. ત્યારે જૂનાગઢ એસ.ઓ.જી.એ આવા જ એક વેપારીને ઝડપી પાડી સફળ કામગીરી કરી છે. ​આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અભિયાન છેડવામાં આવ્યું છે. આ અન્વયે SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, જૂનાગઢના કેવડાવાડી વિસ્તારમાં રહેતો અબ્દુલકાદર ઉર્ફે સોહીલ મહમદભાઈ શેખ (ઉંમર વર્ષ 39) પ્રતિબંધિત પ્લાસ્ટિક દોરીના જથ્થા સાથે વેચાણ અર્થે નીકળવાનો છે.બાતમીના આધારે SOG ની ટીમે ઝાલોરાપા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી અબ્દુલકાદર હાથમાં પીળા કલરની થેલી લઈને પસાર થતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન થેલીમાંથી પ્રતિબંધિત સિન્થેટિક કોટિંગ વાળી પ્લાસ્ટિક દોરી મળી આવી હતી.આરોપી પાસેથી પોલીસે MONO SKY' લખેલ સિન્થેટિક કોટિંગ વાળી પ્લાસ્ટિક દોરીની 5 ફિરકી,GERMAN TECHNOLOGY' લખેલ પ્લાસ્ટિક દોરીના 3 બોક્સ જેમાં 8 ફિરકી મળી કુલ કિંમત ₹2,400 નો મુદ્દામાલ કર્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે જાણતો હતો કે આ દોરી પ્રતિબંધિત છે, તેમ છતાં વધુ નફો કમાવવા માટે ચોરીછૂપીથી તેનું વેચાણ કરતો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ બદલ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ કુવાડીયા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ ડાંગર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:58 pm

સાળંગપુર કષ્ટભંજન દેવને ફળોનો અન્નકૂટ ધરાવાયો:દિવ્ય શણગાર સાથે મારુતિ યજ્ઞ યોજાયો, હજારો ભક્તો ઉમટ્યા

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે વિવિધ ફળોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં મોસંબી, કિવી, કેળા સહિતના ફળોનો સમાવેશ થતો હતો. શ્રીકષ્ટભંજન દેવનો અતિ મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:45 કલાકે શણગાર આરતી સંપન્ન થઈ હતી. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુરધામે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સાળંગપુરધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:57 pm

મોટાવડીયામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:700 થી વધુ દર્દીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મોટાવડીયા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. શ્રી અમૃતબેન વી. સવજાણી આશ્રમશાળા ખાતે આયોજિત આ કેમ્પમાં આસપાસના 700 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં જી.જી. હોસ્પિટલ જામનગર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જામજોધપુર અને બેસ્ટ હિલ હોસ્પિટલ જામનગરના નિષ્ણાત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ ટીમે જનરલ મેડિસિન, સર્જરી, ન્યુરોસર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ, આંખ અને હાડકાના રોગોનું નિદાન કર્યું હતું. દર્દીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ, એક્સ-રે અને લેબોરેટરી રિપોર્ટ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ અને તેમના પરિજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સેવા આપનાર ડોકટરો અને મેડિકલ સ્ટાફના સૌહાર્દપૂર્ણ વર્તનથી દર્દીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચાડવી એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:45 pm

ઉમરગામમાં સગીરાની હત્યા કરનાર મુખ્ય આરોપી પંજાબથી ઝડપાયો:4 વર્ષ પહેલા એકતરફી પ્રેમમાં છરી વડે હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો, પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું

વલસાડ જિલ્લાના ઉમરગામમાં વર્ષ 2022માં થયેલી સગીરાની હત્યાના મુખ્ય આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાનને પોલીસે પંજાબથી ઝડપી પાડ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ફરાર આ આરોપીની ધરપકડ બાદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. પોલીસ તપાસ મુજબ, વર્ષ 2022માં ઉમરગામના નાની દહાડ રોડ પર 17 વર્ષની સગીરા ટ્યુશનથી ઘરે સ્કૂટી પર જઈ રહી હતી. તે સમયે પંકજ પાસવાન અને તેના બે સગીર મિત્રોએ તેના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે સગીરાના ગળા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. હત્યા પાછળનું કારણ એકતરફી પ્રેમ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી પંકજ પાસવાન સગીરાના પાડોશમાં રહેતો હતો અને તેને એકતરફી પ્રેમ કરતો હતો. સગીરાએ તેની સાથે કોઈ સંબંધ રાખવાનો ઇનકાર કરતા પંકજે ઉશ્કેરાઈને મિત્રો સાથે મળીને આ કૃત્ય આચર્યું હતું. ઘટના બાદ પોલીસે ગુનો નોંધી બે સગીર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, મુખ્ય આરોપી પંકજ પાસવાન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તે પોતાની ઓળખ છુપાવવા માટે સતત નામ, સરનામું અને મોબાઈલ નંબર બદલતો હતો અને અલગ-અલગ રાજ્યોમાં વેશપલટો કરીને રહેતો હતો. આરોપીના રિમાન્ડ મેળવીને ઉમરગામ પોલીસે તેની પૂછપરછ કરી હતી. પોલીસ ટીમે આરોપીને સાથે રાખીને સગીરા હત્યા કેસની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. આરોપીએ કઈ રીતે હત્યા કરી અને ક્યાં પ્લાનિંગ કર્યું તેની ઝીણવટભરી નોંધ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:42 pm

રૂમમાં ગેસ લીકેજ બાદ આગ લાગતા થઈ દોડધામ:સુરતના લસકાણામાં રસોઈ બનાવતી વખતે આગ લાગવાથી કપડા, ગોદડા, ઘરવખરી સહિતની વસ્તુઓ બળી ગઈ

સુરતના લસકાણા વિસ્તારમાં આજે મકાનમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાથી આગ ફાટી નીકળતા ત્યાં હાજર વ્યક્તિઓમાં ફેલાતા નાસભાગ થઇ જવા પામી હતી. આ ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગના કારણે કપડાં, ગોદડા, ઘરવખરી સહિતની વસ્તુઓ બળી ગઈ હતી. ગેસના પાઇપમાંથી ગેસ લીકેજ થવાના લીધે આગ ભડકી ઉઠીફાયર ઓફિસર વિનોદ રોજીવાડીયાએ જણાવ્યું હતું કે, લસકાણા ગામ ખાતે મહિન્દ્રાના શો-રૂમ પાસે આવેલી જૂની જી.ઈ.બીની ઓફિસ પાસે આવેલા બે માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર સપ્લાયની કામગીરી કરવામાં આવે છે અને પહેલાં અને બીજા માળે આવેલા રૂમમાં કેટલાક વ્યક્તિઓ રહે છે. જોકે, આજે બીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર પર એક યુવાન રસોઈ બનાવતો હતો. તે સમયે ગેસના પાઇપમાંથી ગેસ લીકેજ થવાના લીધે આગ ભડકી ઉઠી હતી. જેથી, ત્યાં રહેતા વ્યક્તિઓમાં ભય ફેલાઈ જતા ભાગદોડ થઈ ગઈ હતી. આગના લીધે કપડા, ગોદડા, ઘરવખરી, પંખો, વાયરિંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયુંઆગના કારણે હાજર વ્યક્તિઓએ હિંમત દાખવીને ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ ઓલાવવાની કોશિષ કરતા હતા. કોલ મળતા ફાયર લશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ઘસી જાઈ પાણીનો છંટકાવ કરીએ થોડા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જેના લીધે આજુબાજુની અન્ય 3 રૂમ બચાવી લીધી હતી. જ્યારે આગના લીધે કપડા, ગોદડા, ઘરવખરી, પંખો, વાયરિંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઈ ઇજા જાનહાનિ થઈ નહીં હોવાનું ફાયર ઓફિસરએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:35 pm

108ની ટીમે પ્રેગ્નન્ટ મહિલાની ખેતરમાં જ ડિલિવરી કરાવી:રણસીપુર ગામમાં સ્ટાફની કોઠાસૂઝ અને તાત્કાલિક નિર્ણયના કારણે 22 વર્ષીય પ્રસૂતાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 ઇમરજન્સી સેવા આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખરા અર્થમાં જીવનરક્ષક સાબિત થઈ રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસીપુર ગામેથી આવી જ એક પ્રશંસનીય ઘટના સામે આવી છે.જેમાં 108ની ટીમે સમયસૂચકતા વાપરીને એક સગર્ભા મહિલાની ખેતરમાં જ સુરક્ષિત ડિલિવરી કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો છે. મહિલા પ્રસૂતિ સમયે ખેતરમાં હોવાથી તેને હોસ્પિટલ પહોંચાડવી શક્ય નહોતીરણસીપુર ગામે રહેતી 22 વર્ષીય મહિલાને આજે વહેલી સવારે 5:12 કલાકે અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી. આ અંગેની જાણ થતા જ સરદારપુર લોકેશનની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. મહિલા ખેતરમાં હોવાથી અને તેની હાલત અત્યંત ગંભીર જણાતા હોસ્પિટલ પહોંચવું શક્ય નહોતું. આવી કટોકટીની સ્થિતિમાં 108ના ઈ.એમ.ટી. પ્રકાશભાઈ નાયી અને પાયલોટ જીતુજી ઠાકરડાએ તરત જ મોરચો સંભાળ્યો હતો. ડિલિવરી બાદ બાળકને 'કાંગારૂ મધર કેર' આપી જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવીઈ.એમ.ટી. પ્રકાશભાઈએ અમદાવાદ સ્થિત ઈ.આર.સી.પી. ડૉ. તુષારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ખેતરમાં જ પ્રસૂતિ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સ્ટાફની કોઠાસૂઝ અને તાત્કાલિક નિર્ણયના કારણે મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ બાળકને 'કાંગારૂ મધર કેર' આપી જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સુરક્ષા અને સારવાર માટે માતા તથા નવજાત શિશુને વડનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરશિયાળે વહેલી સવારે ખેતર જેવા મુશ્કેલ સ્થળે 108ની ટીમે દર્શાવેલી આ નિષ્ઠાપૂર્વકની કામગીરીને પગલે મહિલાના પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:20 pm

'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર':જર્મનીમાં ફસાયેલી ભારતની દીકરીની વ્હારે આવ્યા ભૂલકાઓ, અરિહા શાહને ભારત લાવવા મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી

જર્મનીમાં ફસાયેલી ભારતની માસૂમ દીકરી અરિહા શાહને ભારત પરત લાવવા માટે હવે ભૂલકાઓએ મોરચો સંભાળ્યો છે અને 'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર'ના નારા સાથે વ્હારે આવ્યા છે. લાંબા સમયથી જર્મનીના ચાઇલ્ડ કેર સેન્ટરમાં રહેલી અરિહાને તેના પરિવાર અને માતૃભૂમિ સાથે પુનઃ મિલાપ કરાવવા માટે બાળકોએ ભાવુક થઈને PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી કરી છે. ભારતની આ દીકરીને ન્યાય મળે અને તે પોતાના દેશ પરત ફરે તે માટે સોશિયલ મીડિયાના વીડિયો મારફત બાળકો આક્રોશ અને વિનંતી સાથે સરકારને કહ્યું છે. બાળકોની અરિહાની વતન વાપસી માટે સરકારને અપીલજર્મનીના ફોસ્ટર કેરમાં ફસાયેલી ભારતની નાની બાળકી અરિહા શાહને પરત લાવવા માટે હવે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો એકત્ર થઈને અરિહાની વતન વાપસી માટે ભારત સરકાર અને જર્મન સરકારને અપીલ કરી રહ્યા છે. ‘ભારતની દીકરી કરે પોકાર, મને બચાવો ભારત સરકાર’વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં બાળકો મંદિરના પગથિયાં પર બેસીને એકસૂરે 'ભારતની દીકરી કરે પોકાર, મને બચાવો ભારત સરકાર' અને 'જર્મન ચાન્સેલર! પ્લીઝ રિપેટ્રિએટ અરિહા' (German Chancellor! Please Repatriate Ariha)ના નારા લગાવી રહ્યા છે. બાળકોના હાથમાં પ્લેકાર્ડ્સ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરની તસવીરો સાથે અરિહાને ભારત લાવવાની વિનંતી કરવામાં આવી છે. વીડિયોમાં એક યુવક નેતૃત્વ કરી રહ્યો છે અને બાળકો અરિહાની ભારતમાં વાપસીની આશા સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જેમાં બેનરો પર લખ્યું છે: Trapped in Germany’s foster care, little Ariha is crying out - Save me Bharat. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે અને લોકો વડાપ્રધાન કાર્યાલય (PMO) ને આ બાબતે દરમિયાનગીરી કરવા વિનંતી કરી રહ્યા છે જેથી ભારતની દીકરી અરિહા શાહ પોતાના વતન અને પરિવાર પાસે પરત ફરી શકે. બાળકી છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં અરિહા શાહ નામની ભારતીય બાળકી છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં છે. તેના માતા-પિતા તેને ભારત લાવવા માટે લાંબા સમયથી કાનૂની અને રાજદ્વારી લડત લડી રહ્યા છે. ભારતીય સમુદાય અને ખાસ કરીને જૈન સમાજ દ્વારા અરિહાને તેની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ જળવાઈ રહે તે રીતે ભારતમાં ઉછેરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે. 9 જાન્યુઆરીએ કેરલના સાંસદે વિદેશ મંત્રીને પત્ર લખ્યો હતોજર્મનીમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફોસ્ટર કેર (પાલક સંભાળ)માં રહેલી ભારતીય બાળકી અરિહા શાહને પરત લાવવા માટે કેરલથી રાજ્યસભાના સાંસદ ડો. જોન બ્રિટાસે કેન્દ્ર સરકારને સક્રિય થવા અપીલ કરી છે. તેમણે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને પત્ર લખીને વિનંતી કરી છે કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની આગામી ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી દખલ કરવામાં આવે. મનોવિજ્ઞાનીએ પણ તેને માતા-પિતાને સોંપવાની ભલામણ કરી અરિહા શાહ એક ભારતીય નાગરિક છે. તેના માતા-પિતા વિરુદ્ધના તમામ ફોજદારી આરોપો પડતા મૂકવામાં આવ્યા હોવા છતાં, તે લાંબા સમયથી જર્મનીની બાળ સેવાઓની કસ્ટડીમાં છે. ડો. બ્રિટાસે પત્રમાં જણાવ્યું છે કે, જર્મન હોસ્પિટલે બાળકી સાથેના દુર્વ્યવહારના કોઈ પણ પુરાવા હોવાનો ઇનકાર કર્યો છે અને કોર્ટ દ્વારા નિયુક્ત મનોવિજ્ઞાનીએ પણ તેને માતા-પિતાને સોંપવાની ભલામણ કરી છે. આમ છતાં, જર્મન સત્તાવાળાઓ માતા-પિતાના અધિકારો ખતમ કરી તેને દત્તક આપવાની પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. બાળકીને તેના ભારતીય પરિવાર સાથે સંપર્ક કરવા દેવાતો નથીસાંસદે ભાર મૂક્યો હતો કે અરિહા પાસે ભારતીય પાસપોર્ટ છે. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકાર સંમેલન મુજબ તેને તેના પારિવારિક જીવન, સાંસ્કૃતિક ઓળખ, ભાષા અને ધર્મનો પૂરો અધિકાર છે. રિપોર્ટ્સ મુજબ, બાળકીને તેના ભારતીય પરિવાર સાથે સંપર્ક કરવા દેવામાં આવતો નથી અને તેને ભારતીય રીત-રિવાજોથી દૂર રાખવામાં આવી રહી છે, જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અરિહાને પાંચ વખત અલગ-અલગ ફોસ્ટર કેરમાં મોકલાઈમાત્ર પાંચ વર્ષની ઉંમરે અરિહાને અત્યાર સુધીમાં પાંચ વખત અલગ-અલગ ફોસ્ટર કેરમાં મોકલવામાં આવી છે, જેના કારણે તેને સ્થિર વાતાવરણ મળ્યું નથી. હાલમાં તે મહિનામાં માત્ર બે વાર જ તેના માતા-પિતાને મળી શકે છે. હવે માતા-પિતાના જર્મનીમાં વિઝા પ્રતિબંધોને કારણે આ મુલાકાતો પર પણ જોખમ ઊભું થયું છે. જર્મન ચાન્સેલરની મુલાકાત વખતે આ મામલે પગલા લેવામાં આવેજર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. ડો. બ્રિટાસે આગ્રહ કર્યો છે કે આ મુલાકાત અરિહાના મામલાને ઉકેલવાની શ્રેષ્ઠ તક છે. દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન આ મુદ્દાને સર્વોચ્ચ રાજકીય સ્તરે ઉઠાવીને બાળકીના શ્રેષ્ઠ હિતમાં તેને ભારત પરત લાવવા માટે નિર્ણાયક પગલાં લેવામાં આવે. અમદાવાદના ગુજરાતી જૈન પરિવારની દીકરી અરિહા શાહનો કેસ હજુ પણ ઉકેલાયો નથી. ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગે 3 સપ્ટેમ્બર 2025ના જર્મનીના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. અરિહાના માતાની પીએમને અપીલઅરિહાના માતા ધારા શાહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે કે, મને આશા છે કે આ પત્ર તમારા સુધી સારા સ્વાસ્થ્ય અને ખુશી સાથે પહોંચશે. હું તમને મારી પુત્રી, અરિહા શાહના કેસ અંગે ઊંડી ચિંતા અને નમ્ર વિનંતિ સાથે લખી રહ્યું છું, જે ગુજરાતની છે અને છેલ્લા ચાર વર્ષથી જર્મન અધિકારીઓની કસ્ટડીમાં છે. ભારતમાં પ્રેમાળ પરિવાર અને ઘર હોવા છતાં, તે તેના લોકો, સંસ્કૃતિ, ભાષા અને મૂળથી દૂર અનાથ જીવન જીવી રહી છે. આજે બેઠક કરો તે આ મુદ્દા પર ચર્ચા કરવા માતાની અપીલ12 જાન્યુઆરીએ, જર્મનીના માનનીય ચાન્સેલર અમદાવાદની મુલાકાત લેશે અને તમને મળશે. આ પ્રસંગ ભારત માટે આ લાંબા સમયથી પડતર માનવતાવાદી મુદ્દાને ઉચ્ચતમ રાજદ્વારી સ્તરે ઉઠાવવાની સુવર્ણ તક છે. પારિવારિક પ્રેમથી વંચિત રાખવામાં આવીઅરિહાને તેની સાંસ્કૃતિક ઓળખ, ભાવનાત્મક સુરક્ષા અને પારિવારિક પ્રેમથી વંચિત રાખવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે તેની પાસે રહેવા માટે કોઈ કાયમી કે સલામત સ્થાન નથી, જ્યારે સમય જતાં તેનો ભારતીય વારસો, ભાષા અને મૂલ્યો ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યા છે. આ ફક્ત કાનૂની મુદ્દો નથી; તે એક માનવતાવાદી અને સાંસ્કૃતિક મુદ્દો છે જેમાં ભારતીય છોકરીના ગૌરવ, અધિકારો અને ભાવનાત્મક સુખાકારીનો સમાવેશ થાય છે. અરિહાને પરત લાવવા માંગતેને પત્રમાં લખ્યું કે, માનનીય પ્રધાનમંત્રી, તમે હંમેશા ભારતના મૂલ્યો, પરંપરાઓ અને તેની પુત્રીઓના ગૌરવને જાળવી રાખ્યું છે. હું તમને નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે કૃપા કરીને અરિહાના કેસ પર ધ્યાન આપો અને જર્મન ચાન્સેલરની આગામી મુલાકાત દરમિયાન તેને ઉઠાવો, અરિહાના સુરક્ષિત વાપસી અને ભારત પરત ફરવા માટે વિનંતી કરો. મોદી-જર્મન ચાન્સેલર હસ્તક્ષેપ કરશે કે નહીં?તેને વધુમાં લખ્યું કે, તમારો કરુણાપૂર્ણ હસ્તક્ષેપ દીકરીને તેના પરિવાર સાથે ફરીથી જોડી શકે છે, તેની સાચી ઓળખ પુનઃસ્થાપિત કરી શકે છે અને તેના બાળકો અને તેમના સાંસ્કૃતિક મૂળના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી શકે છે. તે વિશ્વને એક મજબૂત સંદેશ પણ મોકલશે કે “ભારત તેના નાગરિકોના ભાવનાત્મક અને સાંસ્કૃતિક અધિકારોનું સમર્થન કરે છે, તેઓ ગમે ત્યાં હોય.”

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:10 pm

માળીયા પાસે ટ્રક ટ્રેલરની ટક્કરે યુવાનનું મોત:નાના દહીસરા નજીક અકસ્માત, એકને ઇજા

મોરબીના નવલખી રોડ પર આવેલા નાના દહીસરા ગામના પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો ગાડીને હડફેટે લેતા ગાડીના ચાલકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે ઇજાગ્ર્રસ્તની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ માળીયા (મી)ના ન્યુ નવલખી ગામે રહેતા હારુનભાઈ હાજીભાઈ જામ (ઉં.વ. 19) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બન્યો હતો. હારુનભાઈ પીપળીયા ચોકડી પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમના મિત્ર રફીક દાઉદભાઈ જંગીયા પોતાની ઇકો ગાડી (નંબર GJ 36 AP 0287) લઈને ત્યાંથી પસાર થયા હતા. રફીકભાઈ ન્યુ નવલખી તરફ જઈ રહ્યા હોવાથી હારુનભાઈ તેમની ગાડીમાં બેસી ગયા હતા. બંને નવલખી રોડ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. નાના દહીસરા ગામના પાટીયા પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક પહોંચતા, ટ્રક ટ્રેલર (નંબર GJ 36 T 4499) ના ચાલકે અચાનક વળાંક લેતા રફીકભાઈની ઇકો ગાડીને ડ્રાઇવર સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રફીકભાઈ અને હારુનભાઈ બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રફીકભાઈને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત હારુનભાઈ જામની ફરિયાદના આધારે માળીયા (મી) પોલીસે ટ્રક ટ્રેલર (નંબર GJ 36 T 4499) ના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:45 pm

ધાંગધ્રામાં 148 વાહનની હરાજી, ₹19.27 લાખની આવક:6 પોલીસ સ્ટેશનના કબજે કરેલા વાહનો વેચાયા

ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 148 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજી દ્વારા પોલીસને કુલ ₹19,27,000ની આવક થઈ છે. આ વાહનો ધાંગધ્રા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા હતા. તેમાં 130 ટુ-વ્હીલર, 10 થ્રી-વ્હીલર અને 8 ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. હરાજીમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી 100થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ધાંગધ્રાના DYSP જે. ડી. પુરોહિત, પીઆઈ અને પીએસઆઈ સહિત વિવિધ પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:33 pm

'પટ્ટા ઉતારી નાંખીશું, ક્યાં મર્યો તો, જલ્દી ટ્રાફિક સાફ કર':પોલીસ જવાનનું ગળું પકડી ધક્કો માર્યો, ભાવનગરમાં બે ભાઈનો ASI પર હુમલો

ગત 9 જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને હુમલાનો બનાવ સામે આવ્યો છે. રંગોલી ચોકડી નજીક ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ જવાન સાથે બે શખ્સે ઉશ્કેરાઈને ગાળો ભાંડી હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને વરતેજ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રંગોલી ચોકડી નજીક ઉત્સવભાઈ યોગેશ દવે અને ઉત્કર્ષ યોગેશ દવે નામના બે શખ્સે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ બંને વ્યક્તિઓએ ઉશ્કેરાઇને ફરીયાદી અને વરતેજ પોલીસ સ્ટેશનના ASI રાજેન્દ્રસિંહ ગોહિલ તથા તેની સાથે હોમગાર્ડ સભ્યો તથા જી.આર.ડી. સભ્યોને બેફામ ગાળો આપી હતી. આ ઉપરાંત ફરીયાદી ઉપર હુમલો કરી છાતીના ભાગે ઘક્કો મારી ઇજા પહોંચાડી હતી. આ બાબતે ગત મોડી રાત્રે ફરજમાં રૂકાવટ કર્યાની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રંગોલી ચોકડી પુલ તરફ ટ્રાફિક ખુલ્લો કરવાની કામગીરીમાં હતો. આ દરમ્યાન સવારના સમયે ટાટા પંચ(GJ-04-EP-4266)ના ડ્રાઇવર અને તેની સાથેના માણસે ફરજ પર રહેલા પોલીસ જવાનને કહ્યું કે તું અહીંથી જલ્દી ટ્રાફીક સાફ કર, તું ક્યાં મર્યો તો, એમ કહીં માથાકૂટ કરી હતી. આ સમયે ફરિયાદીએ મોબાઇલમાં વિડીયો ઉતારવા જતા તેનો મોબાઇલ લઇ ફેંકી દીધો અને ટોપી ખેંચી રોડ પર ઘા કરી દીધી હતી. આ ઉપરાંત કહ્યું કે, તારા પટ્ટા ટોપી ઉતારી નાખીશું, તારા સાહેબને ફોન કરી અહીં બોલાવ. તેઓ તેની કાર લઇ રંગોલી ચોકડી બાજુ અમે આવીએ છીએ તેમ કહી હંકારી હતી, જે બાબતે ફોનથી જાણ કરતા ASI સાથેના 112ના ડ્રાઇવર ભાવિનભાઈ પારેખે પુલ પહેલા રોડ પર આ ફોર વ્હીલ રોકાવાનો પ્રયાસ કરતા ફોર વ્હીલ ભગાડી હતી. ત્યાર બાદ વ્હીસલ મારી કાર ઉભી રખાવતા ટાટા પંચ માંથી ઉત્સવ યોગેશ દવે અને ઉત્કર્ષ યોગેશ દવે ઉશ્કેરાઈ જઈ ફરિયાદી ASI, હોમગાર્ડ તથા જી.આર.ડી. જવાનોને જેમ ફાવે તેમ અપમાનજનક શબ્દો કહ્યા હતા. જેનો હોમગાર્ડ અને જીઆરડી જવાનોએ વીડિયો શૂટ કર્યો હતો. જેથી આ બનાવને લઈ વરતેજ પોલીસે બે શખ્સ વિરુદ્ધ બીએનએસ 121(1),221, 132, 352, 54 કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:27 pm

લાકડિયામાં આરોગ્ય કર્મચારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો:બદલી થયેલા કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી

લાકડિયા મુકામે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત કેટલાક કર્મચારીઓની બદલી થવાને કારણે તેમના સન્માનમાં એક વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમની કર્તવ્યનિષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી. કાર્યક્રમ દરમિયાન, લાકડિયા વિસ્તારના નાગરિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં કર્મચારીઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું. માતા-બાળ આરોગ્ય, રસીકરણ, જનજાગૃતિ, નિયમિત સારવાર અને ખાસ કરીને કોરોના મહામારી જેવી વિષમ પરિસ્થિતિઓમાં દર્દીઓની સેવા કરવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવી. તેમના કાર્યો આગામી પેઢીના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ જણાવાયું. બદલી થયેલા કર્મચારીઓમાં ડો. રવિ બાવરવા, ડો. પરબત ચૌધરી, દિલીપભાઈ પરમાર, કિરણભાઈ જોશી, મંજુલાબેન ગરવા, અશ્વિનીબેન પટેલ, તરુણાબેન પટેલ, રાજુભાઈ પરમાર, ઈશ્વરભાઈ મેર, મૂળજીભાઈ સોનારા અને કલ્પેશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓને વિદાય આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારીઓ ડો. ઉર્વશીબેન, ડો. પરબતભાઈ ચૌધરી, આરોગ્ય મંડળ ભચાઉના પ્રમુખ ઉમંગભાઈ, ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય હરિભા ગઢવી, ભાજપ ભચાઉ સંગઠન મંત્રી સુરેશભાઈ સાલાણી, સિવલખાના સરપંચ બાલુભા જાડેજા, જેઠુંનાથ બાવાજી, લાભશંકર ગામોટ, રાણુંભા સોઢા, હબીબભાઈ, મુકેશભાઈ જાટાવાડીયા, દીપરાજસિંહ, ઝાકીર રાઉમા, સામાજિક કાર્યકર નીલભાઈ વીંઝોડા, ન્યાય સમિતિના ચેરમેન તેમજ બાબુ ભીખા કારીયા અને ચેતન વાણિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાકડિયા પી.આઈ. જે.એમ. જાડેજા અને તેમના તમામ સ્ટાફ દ્વારા કોરોનાકાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરીને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવી. સહકર્મચારીઓએ બદલી પામેલા કર્મચારીઓના કાર્યકાળ દરમિયાન થયેલા સકારાત્મક ફેરફારો અને તેમના માનવીય અભિગમની પ્રશંસા કરી. વિદાય લઈ રહેલા કર્મચારીઓએ પણ લાકડિયા મુકામે મળેલા સહયોગ, વિશ્વાસ અને પ્રેમ માટે સૌનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ સેવા ભાવ સાથે કાર્ય કરતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમના અંતે, તેમને મોમેન્ટો તેમજ લાકડિયા ગ્રામજનો દ્વારા ખાસ પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા. શુભેચ્છાઓ સાથે તેમને ભાવસભર વિદાય અપાઈ. આ વિદાય કાર્યક્રમ આરોગ્ય ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ માટે પ્રેરણાદાયી બન્યો. આ પ્રસંગે લાકડિયા આવેલા નવા આરોગ્ય કર્મચારીઓ પ્રિયાબેન, રાકેશભાઈ બારોટ, વિવેકભાઈ આહીર, રાજુભાઈ કોળી, હિતેશભાઈ ટાંક, રંજનબેન ચૌહાણ, દશનાબેન ગામેતી અને માધુરીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદાય સન્માન સમારોહમાં ડો. ભૂમિકાબેન, વિપુલભાઈ વાઘેલા, કિરેનભાઈ પાતર, ચેતનભાઈ જેઠવા, ભવિરાજસિંહ પરમાર, રાવલ અવનીબેન, ચાંદીનીબેન ચૌહાણ, અનિતાબેન વાઘેલા, પ્રવિણાબા ઘલ, ખુશાલીબેન પરમાર, આશા ફેસીલીટેટર અને આશા બહેનો સહિતનો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલભાઈ વીંઝોડા દ્વારા કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:24 pm

ખોડલધામ મહિલા સમિતિએ 6000થી વધુ મહિલાઓને કેન્સર સામે રક્ષણ આપ્યું:જામનગરમાં નિદાન અને રસીકરણ કેમ્પનો સફળતાપૂર્વક આયોજન

જામનગર સ્થિત ખોડલધામ મહિલા સમિતિએ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સમિતિ દ્વારા આયોજિત કેન્સર નિદાન અને રસીકરણ કેમ્પમાં 6000થી વધુ મહિલાઓએ મેમોગ્રાફી, સોનોગ્રાફી, ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન અને રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્યલક્ષી કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો અને હોસ્પિટલોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જી.જી. હોસ્પિટલના નિષ્ણાત ડો. શિલ્પાબેન ચુડાસમાના સહયોગથી ૪૯૦૦ જેટલી બહેનોની મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. આનાથી મધ્યમ વર્ગની મહિલાઓ માટે મોંઘા ટેસ્ટ સુલભ બન્યા હતા. આ ઉપરાંત, સંજીવની હોસ્પિટલના ડો. મોનિકા દોંગાના સહકારથી 820 જેટલી બહેનોના ગર્ભાશયના મુખનું (સર્વાઈકલ કેન્સર) નિદાન થયું હતું. ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાના હેતુથી મધરકેર હોસ્પિટલના ડો. નિમેશ વરસાણીના સહયોગથી 480 બહેનોને કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિનના 2 ડોઝ અને 15 થી 45 વર્ષની મહિલાઓને 3 ડોઝ આપી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવીને તેમને સ્વસ્થ જીવન તરફ દોરવાનો હતો, જેમાં સમિતિને અભૂતપૂર્વ સફળતા મળી છે. ખોડલધામ મહિલા સમિતિ-જામનગરનું આ આયોજન સમગ્ર ગુજરાત માટે નારી સ્વાસ્થ્ય ક્ષેત્રે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે, જે કેન્સર મુક્ત સમાજની દિશામાં એક ઐતિહાસિક કદમ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:22 pm

ભાવનગર હાઈવે પર ટ્રક-બાઈક અકસ્માત:માલેશ્રી નદી પુલ પાસે અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત, પોલીસ તપાસ શરૂ

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર માલેશ્રી નદીના પુલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વનરાજ મેણીયા નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:21 pm

વિસાવડી ગામે નવનિર્મિત ગ્રામપંચાયત ભવનનું લોકાર્પણ:ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખુલ્લું મુકાયું

દસાડા વિધાનસભાના પાટડી તાલુકાના વિસાવડી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન પટેલના હસ્તે રીબીન કાપીને આ ભવનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમારે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગ્રામ પંચાયતના વીસીની કામગીરીને પણ બિરદાવી હતી. સરકાર ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને ગ્રામજનોને આધુનિક સુવિધાઓ એક જ સ્થળે પૂરી પાડવા સતત પ્રયત્નશીલ છે. આ નવીન ભવન ગામના વિકાસ માટે નવા દ્વાર ખોલશે અને સ્થાનિક લોકપ્રશ્નોના નિકાલમાં વેગ લાવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ ડોડીયા, સુરસાગર ડેરીના ડિરેક્ટર વાલાભાઈ ભરવાડ, પંકજભાઈ, તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી મલેકભાઈ, પરબતભાઈ રબારી, વિસાવડી ગામના સરપંચ વનરાજસિંહ વાઘેલા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતની ટીમ, અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ સહિત ગ્રામ પંચાયતની ટીમ અને ભરતભાઈ ડોડીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ ડોડીયાએ કર્યું હતું. ધારાસભ્ય પી.કે. પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવા અને છેવાડાના ગામનો વિકાસ અમારો સંકલ્પ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:18 pm

પાટણમાં કડકડતી ઠંડી:પારો 11 ડિગ્રીએ પહોંચ્યો, ઉત્તર-પૂર્વીય પવનોથી ઠૂંઠવાયું પાટણ, હજુ ઠંડી વધવાની આગાહી

પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સવારે પાટણનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જવાની અને ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા છે. શિયાળાની ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે શહેરી વિસ્તારોમાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે લાકડા તેમજ છાણાં સળગાવી તાપણાં કરતા જોવા મળી રહ્યા છે. ઠંડીની મોસમ જામતા ગરમ વસાણાંના બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. લોકો શક્તિવર્ધક મેથીપાક, કચરિયું અને આદુપાક જેવા વસાણાંની ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત, ખાનપાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે, જેમાં લોકો તુવર તોઠા, ડુંગળીયું, લીલી હળદરનું શાક, બાજરીના રોટલા અને સૂપ જેવી વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. મોટાભાગના લોકો ખેતીકામ અને રવિ પાકના વાવેતર સાથે જોડાયેલા હોવા છતાં, ઠંડીના કારણે ખેડૂતો બપોર બાદ ખેતરે જવાનું ટાળી રહ્યા છે અને સાંજ પડતા જ ઘરે પરત ફરી રહ્યા છે. સાંજના સમયે લોકો ઘરની અંદર રહેવાનું વધુ પસંદ કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રસ્તાઓ વહેલી સાંજથી જ સુમસામ ભાસી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:16 pm

પાલિકાના બે વિવાદાસ્પદ ઠરાવ રદ:ગૌચર જમીન પરના RO પ્લાન્ટ, કન્સલ્ટન્સી સત્તાના ઠરાવો રદ

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિના બે મહત્વના ઠરાવોને કાયમી અસરથી મુલત્વી રાખવાનો આદેશ કર્યો છે. આ ઠરાવો હાંસાપુર ખાતે ગૌચરની જમીન પરના આર.ઓ. પ્લાન્ટને ભાડાપટ્ટે આપવા અને કન્સલ્ટન્સી એજન્સીઓની પસંદગીની સત્તા કારોબારી સમિતિ હસ્તક રાખવા સંબંધિત હતા. કમિશ્નરે ચીફ ઓફિસરના રિમાર્કસને માન્ય રાખી આ નિર્ણયોને વહીવટી પ્રક્રિયા અને સરકારી માર્ગદર્શિકા વિરુદ્ધ ગણાવ્યા. પાટણના હાંસાપુર વિસ્તારમાં ઓવરહેડ ટાંકી પાસે આવેલો આર.ઓ. પ્લાન્ટ ગૌચરની જમીન પર હોવાનું જણાયું હતું. અગાઉ, નગરપાલિકાની બેઠકમાં આ પ્લાન્ટના સંચાલક ચંદ્રિકાબેનને 10 વર્ષ માટે ભાડાપટ્ટે આપવા માટે જાહેરાત આપી ભાવો મંગાવવાની પ્રક્રિયા બહુમતીથી મંજૂર કરાઈ હતી. જોકે, નગરસેવક દેવચંદ પટેલે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીફ ઓફિસરે આ ઠરાવની સમીક્ષા કરતા સ્પષ્ટ કર્યું કે સરકારની પૂર્વ મંજૂરી વિના ગૌચરની જમીન પર કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ થઈ શકે નહીં. સરકારી માર્ગદર્શિકા મુજબ, ગૌચરની જમીન આવા હેતુઓ માટે ફાળવી શકાતી નથી. આથી, કમિશ્નરે આ ઠરાવને કાયમી ધોરણે રદ કર્યો છે. બીજા કિસ્સામાં, પાટણ નગરપાલિકાની બાંધકામ અને અન્ય શાખાઓમાં રોડ-રસ્તા તથા બાગ-બગીચાના વિકાસ માટે બે કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડર એજન્સીઓની પસંદગી કરવાની સત્તા કારોબારી સમિતિને સોંપવાનો ઠરાવ 25 જૂન, 2025 ના રોજ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પર ઓક્ટોબર, 2025 માં વચગાળાનો મનાઈ હુકમ અપાયો હતો. મ્યુનિસિપલ કમિશ્નરે આ મામલે અંતિમ નિર્ણય લેતા જણાવ્યું કે, એજન્સીઓની પસંદગી અને વહીવટી પ્રક્રિયા મ્યુનિસિપલ એક્ટ મુજબ ચીફ ઓફિસરની સત્તા હેઠળ આવે છે. કારોબારી સમિતિ દ્વારા વહીવટી સત્તાઓ પોતાના હસ્તક લેવાનો આ પ્રયાસ કાયદેસર ન હોવાનું ઠેરવી કમિશ્નરે આ ઠરાવ પણ મુલત્વી રાખ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:06 pm

ગોધરા-અમદાવાદ હાઇવે પર શિમલા કબાડી માર્કેટમાં આગ:સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ, ધુમાડા દૂર સુધી દેખાયા

ગોધરા-અમદાવાદ હાઇવે પર આવેલી શિમલા કબાડી માર્કેટમાં સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. માર્કેટમાં રાખવામાં આવેલા સ્ક્રેપ (ભંગાર)ના વિશાળ જથ્થાએ જોતજોતામાં આગ પકડી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ ચોક્કસ માહિતી મળી નથી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:00 pm

PM મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલનું ઉદ્ઘાટન થશે:મારવાડી યુનિ.માં 6 એક્ઝિબિશન અને 1 ઇનોગ્રેશન હોલ તૈયાર, 350 વિદેશી ડેલિગેટ્સ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો રહેશે ઉપસ્થિત

PM મોદી આજે(11 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફોરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેસ્ટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 2047ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની એક આ નવી પહેલ છે જેના થકી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટથી ગિરનારની ગરિમા, સોમનાથનું સત, સાવજની ડણક, સફેદ રણનું સૌંદર્ય અને હુન્નરોની હારમાળાને વૈશ્વિક ઓળખ મળશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છનો વ્યાપ વધશે જેમાં ઉદ્યોગોની સાથેસાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરાશે. PM મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથથી હેલીકોપ્ટર મારફતે રાજકોટ આવી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હેલિપેડ પર ઉતરી અંદાજિત 1 વાગ્યે મારવાડી યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાફલો પહોંચશે. PM વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશેસૌપ્રથમ PM એક્ઝિબિશન હોલની મુલાકાત કરી બાદમાં ઇનોગ્રેશન હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફોરન્સ ખાતે પહોંચી આ સમિટને ખુલ્લી મુકશે. મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર વિશાળ જગ્યામાં ખાસ એક્ઝિબિશન માટે 26,400 સ્કવેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઇ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેમાં સ્પેશિયલ MSME હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. લાખો-કરોડોની કિંમતના MOU થવાનો પણ અંદાજઆ ઉપરાંત એક કોન્ફોરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે. અહીથી લાખો-કરોડોની કિંમતના MOU થવાનો પણ અંદાજ છે અને આ જ હોલમાં બે દિવસ સુધી કોન્ફોરન્સ, સેમિનાર, કોન્ક્લેવ અને વક્તાઓના પ્રવચનનું આયોજન કરાયું છે. ગુજરાત-દેશભરમાંથી 5,000થી વધુ ઉદ્યોગકારો સમિટમાં ભાગ લેશેઆ વાઇબ્રન્ટ સમિટમાં 22થી વધુ દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ આવવાના છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાંથી મળી 5,000થી વધુ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લેશે. અહીં તમામની જમવાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે. જ્યારે વિદેશી ડેલિગેટ્સ આવે તો તેમનું સ્વાગત મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમના કલ્ચર મુજબ કરાશે. 6 એક્ઝિબિશન હોલ, ઇનોગ્રેશન હોલ, પાર્કિંગની વ્યવસ્થારાજકોટ-મોરબી રોડ પર બેડી ગામથી આગળ ડાબા હાથ પર મારવાડી યુનિવર્સિટી આવેલી છે, જ્યાં મેઈન ગેઈટમાં પ્રવેશ કરતાની સાથે ડાબા હાથ તરફ કુલ 6 એક્ઝિબિશન હોલ તૈયાર કરાયા છે. જમણી તરફ વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. એ જ રીતે મેઈન બિલ્ડિંગની બાજુમાં મુખ્ય ઇનોગ્રેશન હોલ તૈયાર કરાયો છે. જયારે જમવા માટે બે અલગ અલગ જગ્યા પર ડાઇનિંગ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં એક સિલ્વર ડાઇનિંગ કે જે મેઈન બિલ્ડિંગની પાછળ F ટાવરની બાજુમાં અને ગોલ્ડ ડાઇનિંગ વ્યવસ્થા ટાગોર ટાવરની બાજુમાં મેઈન બિલ્ડિંગની સામે કરવામાં આવી છે. આ ઉપરાંત મેઈન બિલ્ડીંગ પાછળ એક ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. વિવિધ કોન્કલેવ અને સેમિનારનું આયોજનવાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઉદ્ઘાટન સેરેમની ઉપરાંત બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, ગ્રીન સ્ટાર્ટઅપ, ઓઇલ એન્ડ ગેસ, શિપબિલ્ડીંગ, વુમન એમ્પાવર, એમ્પાવર ગુજરાત કોન્ફોરન્સ સેમિનાર અને કોન્ક્લેવ થવાના છે જયારે અંતમાં કલચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા દિવસે 12 જાન્યુઆરીના રોજ ટુરિઝમ, બ્લુ ઈકોનોમી, સીરામીક કોન્ક્લેવ, ગિફ્ટ સીટી ઑપર્ચ્યૂનિટિ, માઇનિંગ રિવોલ્યુશન, MSME કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ સેમિનાર, ડિફેન્સ, બાંધણી-પટોળાની અંદર ગ્લોબલ ઑપર્ચ્યૂનિટિ, આયાત નિકાસ સેમિનાર વગેરે આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 12:27 pm

પોરબંદરમાં 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી:રસ્તામાં પીડા વધતા EMT અને પાયલોટે માતા-બાળકને સુરક્ષિત રાખ્યા

પોરબંદર જિલ્લાના નવી બંદર ગામે એક પ્રસૂતાને અચાનક પ્રસવ પીડા ઉપડતા 108 ઈમરજન્સી સેવા બોલાવવામાં આવી હતી. 108 ટીમે મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. કોલ મળતા જ બળેજ 108 ની ટીમ તાત્કાલિક નવી બંદર ગામે પહોંચી હતી. પ્રથમવાર ગર્ભવતી રહેલી મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી, ત્યારે રસ્તામાં જ પીડા અત્યંત વધી ગઈ હતી. આ સ્થિતિમાં 108 ના EMT ભનુભાઈ મોકરિયા અને પાયલોટ રોહિત કામરીયાએ પોતાની તાલીમ અને સમયસૂચકતાનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી. આ પ્રસુતિ દરમિયાન મહિલાએ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. ERC P ડૉ. ટી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં માતા અને બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી એમ.આર. લેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર 108 ઈમરજન્સી સેવાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવી છે. પુત્રના જન્મ બાદ EMT ભનુભાઈ મોકરિયા અને બળેજ 108 ટીમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ અને જિલ્લા કોઓર્ડિનેટર જયેશ સાહેબ દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 11:09 am

વાયબ્રન્ટ સમીટમાં મીની હોસ્પિટલ ઉભી કરાઈ:રાજકોટ મારવાડી કોલેજ ખાતે 6 બેડની સુવિધા, 25 ડૉક્ટર્સ અને 10 નર્સિંગ સ્ટાફ સહિત 50નો સ્ટાફ સતત ખડેપગે રહેશે

રાજકોટમાં આજથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ - વિદેશના અનેક મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી, કોઈપણ સંભવિત તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મારવાડી કોલેજ કેમ્પસમાં જ 6 બેડની સુવિધા ધરાવતી અદ્યતન મિની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ તૈયાર કરાયેલી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ફોજ તૈનાત કરવામાં આવી છે, જે કોન્ફરન્સ પૂર્ણ થાય ત્યાં સુધી ચોવીસ કલાક ખડેપગે રહેશે. સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થામાં દર્દીઓની સારવાર માટે કુલ 50 જેટલા મેડિકલ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ટીમમાં ફિઝિયોથેરાપી, જનરલ સર્જન, ઓર્થોપેડિક (હાડકાના નિષ્ણાત) અને મેડિકલ ઓફિસર જેવા વિવિધ રોગોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કોન્ફરન્સ દરમિયાન સતત તબીબી દેખરેખ જળવાઈ રહે તે માટે કુલ 25 ડોક્ટરોની ટીમ ખાસ ફાળવવામાં આવી છે, જેમાંથી દરરોજ 5 ડોક્ટરો રોટેશન મુજબ ફરજ બજાવશે. આ ઉપરાંત, સહાયક સ્ટાફ તરીકે 10 નર્સિંગ સ્ટાફ અને 10 સર્વન્ટ સહિતનો અન્ય પેરામેડિકલ સ્ટાફ પણ સ્થળ પર ઉપલબ્ધ રહેશે. આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીધું કરવામાં આવી રહ્યું છે. મારવાડી કોલેજમા ઉભી કરવામાં આવેલી આ હોસ્પિટલ માત્ર પ્રાથમિક સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને નાની સિવિલ હોસ્પિટલ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે અહીં અત્યાધુનિક સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે. નાની-મોટી ઈજાઓ કે ડ્રેસિંગ માટે 3 સ્પેશિયલ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય અને દર્દીને તાત્કાલિક અન્ય મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડે, તો તે માટે 3 હાઈ-ટેક એમ્બ્યુલન્સને સ્થળ પર જ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઇમરજન્સી અને જીવનરક્ષક દવાઓનો પણ પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે, જેથી દવાના અભાવે સારવારમાં વિલંબ ન થાય. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ એ રાજ્યનો અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે અને તેમાં સુરક્ષાની સાથે મહેમાનોનું સ્વાસ્થ્ય જાળવવું એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મારવાડી કોલેજમાં તૈયાર કરાયેલી 6 બેડની આ હોસ્પિટલ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સ્થળ પર જ તાત્કાલિક નિદાન અને સારવાર કરવામાં સક્ષમ છે. રાજકોટમાં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી અને 50 સભ્યોની ટીમ આધુનિક સાધનો સાથે ખડેપગે છે. રાજકોટમાં આ મિની હોસ્પિટલની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, જો કોઈ પ્રતિનિધિ કે મહાનુભાવની તબિયત લથડે તો તેમને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળી રહે. 24 કલાક કાર્યરત રહેનારી આ હોસ્પિટલમાં ડોક્ટરોનું રોટેશન એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે કોઈપણ સમયે મેડિકલ હેલ્પ મળી શકે. આ વ્યવસ્થા માટે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ અને નિષ્ણાતોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આમ, વાયબ્રન્ટ ગુજરાતના આ આંતરરાષ્ટ્રીય મંચ પર તબીબી સેવાઓ બાબતે તંત્ર દ્વારા સચોટ અને સુદ્રઢ આયોજન કરીને મહેમાનોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 11:02 am

VNSGUની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હાલાકી:ABVPનો હલ્લાબોલ; ભોજન અને સુવિધાઓના અભાવે કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ગેટ પર જ સૂઈ ગયા

સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન સમરસ હોસ્ટેલમાં ગઈકાલે(10 જાન્યુઆરી) મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. ન્યાયની માગ સાથે સેંકડો વિદ્યાર્થીઓ હોસ્ટેલના મુખ્ય ગેટ પર જ સૂઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શું છે સમગ્ર મામલો?સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી. ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં રહેવાની મૂળભૂત સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી, સાફ-સફાઈ અને મેઈન્ટેનન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ બાબતે અનેકવાર હોસ્ટેલ પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચ્યો ન હતો. ABVP દ્વારા આક્રમક વિરોધવિદ્યાર્થીઓની પીડાને વાચા આપવા માટે ABVPના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા હતા. મોડી રાત્રે શરૂ થયેલું આ આંદોલન જોતજોતામાં ઉગ્ર બન્યું હતું. વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગેટ પાસે જ ધરણા શરૂ કર્યા હતા. આક્રોશ એટલો હતો કે અમને સુવિધા આપો અથવા ખુરશી ખાલી કરોના નારાઓથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર સામે વિરોધ નોંધાવવા માટે વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ગેટ પર જ સૂઈ ગયા હતા. વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમેસમાં અપાતા ખોરાકની ગુણવત્તા સુધારવામાં આવે અને ડાયેટ ચાર્ટ મુજબ પોષણયુક્ત આહાર મળે. હોસ્ટેલમાં પીવાના પાણીના RO પ્લાન્ટ અને શૌચાલયોની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે. વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક થાય અને બેદરકાર સ્ટાફ સામે પગલાં લેવાય. તંત્રની ઉદાસીનતા સામે રોષવિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ જેવી સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં અધિકારીઓની મિલીભગત અને લાપરવાહીને કારણે વિદ્યાર્થીઓએ હેરાન થવું પડે છે. જ્યાં સુધી પ્રશાસન લેખિતમાં બાંહેધરી નહીં આપે અને સ્થળ પર તપાસ કરીને સુધારો નહીં કરે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે, તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. તંત્રએ મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ પોતાની માગ પર અડગ રહ્યા હતા. આ ઘટનાને પગલે યુનિવર્સિટી વર્તુળોમાં અને વાલીઓમાં ભારે ચર્ચા જાગી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 10:55 am

સંતરામપુર પોલીસે 5 ગુમ મોબાઈલ પરત કર્યા:રૂ.1.29 લાખના ફોન મૂળ માલિકોને સોંપાયા, 'તેરા તુજકો અર્પણ' હેઠળ

મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ હેઠળ ગુમ થયેલા પાંચ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹1,29,990 છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને મદદનીશ પોલીસ વડા વિકાસ યાદવની સૂચનાથી, સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે. ડિંડોરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુમ થયેલા મોબાઈલ ફોનનો ગેરકાયદેસર ઉપયોગ ન થાય તે માટે 'CEIR' પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી. પોર્ટલ પર ફોન એક્ટિવ થતાં મળેલ એલર્ટ માહિતીના આધારે ડેટા એનાલિસિસ કરીને આ પાંચ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. જે માલિકોને તેમના ફોન પરત મળ્યા છે તેમાં મુકેશભાઈ રામસિંઘભાઈ ડાભી (ગામ શીર, વિવો, ₹58,000), વાસુદેવ ધૂળાભાઈ બામણીયા (ગામ સંતરામપુર, વિવો, ₹12,000), અલ્પેશભાઈ શંકરભાઈ સંગાડા (ગામ ઝાલદડા, ઓપ્પો, ₹21,490), ભરતભાઈ ગુલાબભાઈ બારીયા (ગામ વનેડા, મોરવા હડફ, પંચમહાલ, ઓપ્પો, ₹14,000) અને નિમેશકુમાર નટવરલાલ માળી (ગામ સંતરામપુર, વિવો, ₹24,500) નો સમાવેશ થાય છે. સંતરામપુર પીઆઈ કે.કે. ડિંડોરના હસ્તે આ તમામ અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા. ફોન પરત મળતા તમામ અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 10:51 am

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી:5 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર; આબુમાં વાહનો પર બરફનાં થર જામ્યાં

રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે, જેમાં ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનોનો ચમકારો જારી રહેશે. બીજી તરફ, માઉન્ટ આબુમાં પારો શૂન્યની નીચે પહોંચતા વાહનોના કાચ પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે હિલ સ્ટેશન પર ‘મિની કાશ્મીર’ જેવો નજારો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયુંઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાવાને કારણે રાજ્યના 5 શહેરમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટ એટલે કે એક આંકડામાં પહોંચી ગયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સિઝનનું સૌથી ઠંડુગાર શહેર નલિયા બની ગયું છે. જ્યાં સિઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇન્સમાં પહોંચતા બરફની ચાદર છવાઈમાઉન્ટ આબુ અત્યારે જાણે 'મિની કાશ્મીર' બની ગયું હોય તેવો અદભૂત માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો શૂન્યની નીચે રહેતા સમગ્ર હિલસ્ટેશન પર કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વાહનોના કાચ અને ખુલ્લા બગીચાઓમાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળે છે, જેના કારણે પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જોકે, આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યના 11 જેટલા શહેરમાં પારો 15 ડિગ્રી કરતા નીચે પહોંચ્યોમાત્ર એટલું જ નહીં પરંતુ રાજ્યના 11 જેટલા શહેરમાં પારો 15 ડિગ્રી કરતા નીચે પહોંચી ગયો છે. પોરબંદરમાં 11.5 ડિગ્રી, અમદાવાદમાં 11.6 ડિગ્રી, ભાવનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કંડલામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, દ્વારકામાં 13.6 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી, દીવમાં 14.3 ડિગ્રી, દમણમાં 15.2 ડિગ્રી, વેરાવળમાં 15.5 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવઉત્તર ભારતમાંથી ફૂંકાતી ઠંડી પવનની અસરને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ ઘેરો બન્યો છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ વાતાવરણ સુકું રહેવાનું છે, વરસાદની કોઈ શક્યતા નથી. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, પરંતુ ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ હજુ પણ રહેશે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો વધુ અનુભવ થશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 10:36 am

ગોધરામાં ‘સન્ડે ઓન સાયકલ’ રેલી:ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહન

ગોધરામાં કેન્દ્ર સરકારના 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ હેઠળ પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ સ્વાસ્થ્યપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક જીવનમાં વ્યાયામનું મહત્વ સમજાવવા તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહન સાધન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલિંગથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય મંત્રી તથા 'ફિટ ઇન્ડિયા' અભિયાનના પ્રેરણાસ્રોત મનસુખ માંડવિયાએ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ માટે સાયકલિંગને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત 'સન્ડે ઓન સાયકલ' જેવા કાર્યક્રમો દ્વારા લોકોને નિયમિત સાયકલ ચલાવવા અને શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ જ અભિયાનની પ્રેરણાથી ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના બામરોલી રોડ પરથી આ રેલી શરૂ થઈ હતી, જે ગદુકપુર બાયપાસ ચોકડી, પરવડી ચોકડી, દાહોદ રોડ થઈને પરત બામરોલી રોડ પર પહોંચી હતી. ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના આયોજકોના જણાવ્યા અનુસાર, આ રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. આવનાર સમયમાં આવા વધુ કાર્યક્રમો યોજીને 'ફિટ ઇન્ડિયા' અભિયાનને જનઆંદોલન બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:41 am

પહેલા વ્યક્તિ ને હવે ગાય ખાબકી, રેસ્કયૂનો VIDEO:અટલાદરામાં ફાયરે અબોલ જીવને બચાવ્યો; સ્થાનિકોએ કહ્યું- આખા શહેરમાં મોતના ખાડા ખોદી રાખ્યા છે, કોઈનો જીવ જશે ત્યારે જાગશે

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બી.એ.પી.એસ. છાત્રાલય પાસે ખુલ્લી ગટરમાં એક ગાય ગત રાત્રે ખાબકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાએ તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યૂ કરી બહાર કાઢી માલિકને સોંપી હતી. આ ઘટના અંગે વાસણા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવી હતી. ગટરની ખુલ્લી ચેમ્બર હોવાથી જગ્યા સાંકડી હોવાથી ફાયરે એક કલાકના સતત પ્રયત્નો બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી માલિકને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી ફરી એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે. ગાયને સલામત બહાર કાઢી તેના માલિકને સોંપીઆ અંગે ફાયર વિભાગના કર્મીએ જણાવ્યું કે, અમને અહીં ખુલ્લી ગટરમાં ગાય પડી હોવાની માહિતી મળી હતી. અમારી ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ ગાયને સલામત બહાર કાઢી તેના માલિકને સોંપી દીધી છે. કોર્પોરેશને આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છેઆ અંગે સ્થાનિક રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ એટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે. અહીંયા અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો હતો. આ બાબતે ફરી એકવાર હું કોર્પોરેશનને કહેવા માંગુ છું કે, કોર્પોરેશને આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે. એમને થોડી પણ શરમ જેવું રહ્યું નથી. એમને કંઈ પડી નથી. જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે. માત્ર ખુલ્લું મૂકીને જતું રહેવાનું?વધુમાં કહ્યું કે, ફરી શહેરમાં માંજલપુર જેવી ઘટના બની હોત, પરિવારને માત્ર રડવા સિવાય બીજું કઈ ન રહ્યું હોત. આ અબોલા પ્રાણીનો પણ એક જીવ છે. જો એનો પણ જીવ ગયો હોત, તો એના માલિકને દુઃખ થવાનું જ હતું. પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી છે કે આખા વડોદરામાં ખાડા ખોદ ખોદ કર્યા છે. અરે તમે પ્રોપર ધ્યાન તો રાખો. ખાડા રાખો છો તો એની પર બેરીકેટ લગાવો, પ્રોપર એના ઢાંકણ લગાવો પણ કશું જ નહીં. માત્ર ખુલ્લું મૂકીને જતું રહેવાનું? આ જગ્યા પર એક બેરીકેટ નથીવધુમાં કહ્યું કે, આ જગ્યા પર એક બેરીકેટ નથી, વિચાર કરવા જેવી વાત છે કે કોર્પોરેશનને કઈ શરમ જેવું છે જ નહીં. લોકોને મરવા માટે ખાડા ખોદી રાખ્યા છે. કોઈનો જીવ જશે ત્યારે જાગશે? તો વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે અને કામગીરી પર ધ્યાન આપે નહીંતર કોઈનો જીવ જશે ત્યારે જાગશે? પૈસાથી કશું થતું નથી. પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કોઈ મતલબ નથી. પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે કેમ કે આખા વડોદરામાં ખાડા ખોદેલા છે. ખાસ કરીને અટલાદરા વિસ્તારમાં ખાડાઓની કોઈ લિમિટ જ નથી. હજુ પણ કોર્પોરેશન ઘોર નિદ્રામાં છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:34 am

વડોદરામાં 15 વર્ષ બાદ આજે ફરી ઇન્ટરનેશનલ મેચ રમાશે:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેશનલ લઈને ચાહકો આતુર, પહેલીવાર સ્ટેડિયમ હાઉસફુલ થશે, સ્ટેડિયમની સુરક્ષા માટે 1400 પોલીસ જવાનો ખડેપગે

વડોદરા શહેરમાં 15 વર્ષ બાદ આજે ફરી મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને વડોદરાના ક્રિકેટ રસીકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 1:30 વાગ્યાથી કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ રમાશે. જેમાં ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. સ્ટેડિયમ બન્યા બાદ પહેલીવાર સ્ટેડિયમ હાઉસફુલ થશે.વડોદરામાં છેલ્લે ઇન્ટરનેશનલ મેચ 4 ડિસેમ્બર 2010ના રોજ રમાઈ હતી, તે પણ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ઇન્ટરનેશનલ મેચ હતી. જેમાં ભારતનો 9 વિકેટે વિજય થયો હતો. ત્યારે ચાહકો આજે પણ ભારત જીતે તેમ ઇચ્છી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાશે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદિપ યાદવ સહિતના સ્ટાર ક્રિકેટરને રમતા જોવા માટે વડોદરાના ચાહકો તૈયાર છે. વડોદરામાં ઇન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ બન્યા બાદ પહેલીવાર મેન્સ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા હાઈ વૉલ્ટેજ મેચ માટે ખૂબ જ તૈયારીઓ કરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસના 1400 જેટલા જવાનો મેચ દરમ્યાન ખડે પગે રહેશે. સમગ્ર ગ્રાઉન્ડમાં થ્રી લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ મેચ રમી રહ્યા હોવાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સતત મેચ પર નજર રાખશે. મેચ દરમ્યાન ટ્રાફિક અને પાર્કિંગના પ્રોબ્લેમ ના આવે તે માટે ખાસ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ક્રિકેટરોની સુરક્ષા ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેડિયમ બહાર પાર્કિંગની વ્યવસ્થા જનરલ પાર્કિંગ ટુ વ્હીલર પાર્કિંગ - 5000ફોર વ્હીલર પાર્કિંગ - 4000 VIP પાર્કિંગ ટુ વ્હીલર અને ફોર વ્હીલર - 2700

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:32 am

મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનો વિરોધ:બોટાદ જિલ્લા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગરીબોના અધિકાર છીનવવાનો આરોપ લગાવ્યો

બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં કરાયેલા ફેરફારો અને નામ બદલવાની પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રમેશભાઈ શીલુએ આક્ષેપ કર્યો કે સરકાર મહાત્મા ગાંધીના નામથી ચાલતી યોજનાનું નામ બદલીને મોટું પાપ કરી રહી છે. મનરેગા યોજનામાં અગાઉ કેન્દ્ર સરકારનો હિસ્સો 90% અને રાજ્ય સરકારનો હિસ્સો 10% હતો. નવા ફેરફાર (વીબીજીરામજી કાયદા) મુજબ, કેન્દ્રનો હિસ્સો ઘટાડીને 60% અને રાજ્યનો હિસ્સો વધારીને 40% કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે કે જે રાજ્યો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે, તેઓ આ 40% રકમ નહીં આપી શકે તો શ્રમિકોને પૂરતી રોજગારી મળવી મુશ્કેલ બનશે. પ્રવક્તા શીલુએ જણાવ્યું કે આ ફેરફાર ગરીબ, શોષિત અને વંચિત લોકોના રોજગારીના અધિકાર છીનવવાનો પ્રયાસ છે. અગાઉ મનરેગા હેઠળ શ્રમિકો કામ ન મળે તો અરજી કરીને રોજગારની માંગણી કરી શકતા હતા. આ નવો નિયમ રદ થતા મજૂરોની 'રોજગાર ગેરંટી' હવે જોખમમાં મુકાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રમેશભાઈ શીલુએ વધુમાં જણાવ્યું કે આઝાદીની લડતમાં જે પક્ષનો કોઈ ફાળો નથી, તે પક્ષ હવે મહાત્મા ગાંધીનું નામ હટાવીને પોતાનું નામ લગાવી રહ્યો છે, જે સીધું જ રાષ્ટ્રપિતાનું અપમાન છે. તેમણે આ ફેરફારોને ગરીબ મજૂરોને પાયમાલ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:31 am

આજે શૌર્ય યાત્રા અને શૌર્ય સભાને સંબોધશે વડાપ્રધાન:ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો સોમનાથ પહોંચ્યા, દ્વારકાથી આવેલી દીકરીઓએ મોદીજીને ગણાવ્યા પ્રેરણાસ્તોત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે છે. તેઓ અહીં શૌર્ય યાત્રા અને શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચ્યા છે. વહેલી સવારથી જ સોમનાથ તરફ જનમેદની ઉમટી પડી હતી. દ્વારકા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત અનેક વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને નાગરિકો વડાપ્રધાનને સાંભળવા અને તેમનું અભિવાદન કરવા આવ્યા હતા. સોમનાથ મંદિર પરિસરથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી ‘જય સોમનાથ’ અને ‘ભારત માતા કી જય’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાંથી આવેલી કેટલીક દીકરીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના વિચારો, નેતૃત્વ અને દેશ માટેના સંકલ્પો યુવા પેઢીને સતત પ્રેરણા આપે છે. આ કાર્યક્રમો ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાયા છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ગૌરવશાળી ઇતિહાસ, શૂરવીરોના બલિદાન અને રાષ્ટ્રના આત્મસન્માનને ઉજાગર કરવાનો છે. આ કાર્યક્રમો ધાર્મિક તેમજ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:30 am

નવસારીમાં ફૂડ અને કાઈટ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ:મહાનગરપાલિકાની એપ લોન્ચ, કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફૂડ અને કાઈટ ફેસ્ટિવલ 2025નો સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટિલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનો, પરિવારો અને યુવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાની વેબસાઇટ અને 'નવસારી કનેક્ટ' મોબાઇલ એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું. આ એપ્લિકેશન દ્વારા નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ વિશે માહિતી મેળવવામાં સરળતા રહેશે. આ સાથે જ, નવસારીના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસયાત્રાનો સમૃદ્ધ અભ્યાસ રજૂ કરતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરાયું. ઉદ્ઘાટન સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલે વિકાસ, સ્વચ્છતા અને જળસંચયને જનચળવળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નવસારી જિલ્લામાં થઈ રહેલા વિકાસ, જળસંચય અને સ્વચ્છતા ક્ષેત્રે થયેલી પ્રગતિની પ્રશંસા કરી. પાટિલે જણાવ્યું કે આ સિદ્ધિ સરકાર, વહીવટી તંત્ર અને નાગરિકોના સંકલિત પ્રયત્નોથી શક્ય બની છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હવે લોકોની જીવનશૈલીનો હિસ્સો બની રહી છે. તેમણે નવસારીને આવનારા દિવસોમાં દેશના સ્વચ્છ અને વ્યવસ્થિત નગરોમાં સ્થાન મેળવવા પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારીની સંગીત પ્રસ્તુતિ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપસ્થિત નાગરિકો, યુવાનો અને બાળકો સહિત સૌએ તેમના લોકગીતોને ઉત્સાહભેર માણ્યા હતા. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:28 am

નવસારીનો ઐતિહાસિક અજગરવાળો બાગ હવે ગ્લો ગાર્ડન બન્યો:NMC એ ₹2.65 કરોડ ખર્ચી અમદાવાદની જેમ રાત્રે ઝળહળતો બનાવ્યો

નવસારી શહેરના ઐતિહાસિક 'અજગરવાળા બાગ'ને હવે નવું અને આધુનિક સ્વરૂપ મળ્યું છે. નવસારી નગરપાલિકા દ્વારા ₹2.65 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ 'ગ્લો ગાર્ડન'નું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત બાગ શહેરના આકર્ષણમાં વધારો કરશે. આ બાગ નવસારીના લોકો માટે મનોરંજનનું એક ઉત્તમ સ્થળ પૂરું પાડશે. વર્ષોથી 'અજગરવાળો બાગ' અનેક પેઢીઓ માટે બાળપણની યાદો સાથે જોડાયેલો છે. અમદાવાદના ગ્લો ગાર્ડનની થીમ પર, આ બાગમાં અજગર સિવાયના જૂના રમતના સાધનો હટાવીને તેને નયનરમ્ય રંગબેરંગી રોશનીથી ઝળહળતો બનાવવામાં આવ્યો છે, જે બાળકો અને મોટેરાઓને આકર્ષશે. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઐતિહાસિક સ્થળોને જાળવી રાખીને તેને આધુનિક રૂપ આપવું પ્રશંસનીય છે. આ ગ્લો ગાર્ડન માત્ર સુંદરતા જ નહીં, પરંતુ શહેરીજનો માટે એક નવી ઉર્જાનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી સહિતના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પાટીલે બાગની મુલાકાત દરમિયાન બાળકો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:27 am