ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
UAE Iran US Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં એવી આશંકા છે કે અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. ત્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ કહ્યું છે કે ઈરાન પર સૈન્ય હુમલા માટે અમે અમારા દેશના એરસ્પેસનો ઉપયોગ થવા દઇશું નહીં. અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. ત્યારે યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમારા એરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા માટે થવા દઇશું નહીં. ક્ષેત્રીય સ્થિરતા તથા તટસ્થતા માટે અમે કટિબદ્ધ છીએ.
હિંમતનગરના વાતાવરણમાં પલટો:ધુમ્મસ છવાતાં ઠંડીની અસર ઘટી, માવઠાની શક્યતા
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ પલટાને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ધુમ્મસભર્યા વાતાવરણને લીધે સૂર્યોદય પણ ધુમ્મસની ચાદર વચ્ચે જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ બાદ આજે સવારે ઠંડીની અસર ઓછી અનુભવાઈ હતી. હવામાન વિભાગના મતે, આવા વાતાવરણને કારણે માવઠું થવાની શક્યતા છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન મેડિકલ કોલેજોના FYMBBS અને SYMBBSના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવા બાબતે મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (HMSA ગુજરાત) દ્વારા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની તારીખો જાહેર ન થતા નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. FYMBBS (બેચ 2024)ની મુખ્ય પરીક્ષા 13 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ હતી, જેનું પરિણામ 14 નવેમ્બર, 2025ના દિવસે જાહેર કરાયું હતું. તેવી જ રીતે SYMBBS (બેચ 2023)ની મુખ્ય પરીક્ષા 11 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી અને તેનું પરિણામ 15 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ બંને પરીક્ષાઓના પરિણામો જાહેર થયાને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, યુનિવર્સિટી દ્વારા હજુ સુધી પૂરક પરીક્ષા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. HMSA ગુજરાત દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ કરી છે. વિદ્યાર્થી સંગઠન મુજબ, જો વહેલી તકે તારીખો જાહેર કરવામાં આવે તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ સુનિશ્ચિત કરી શકે અને તેમનું શૈક્ષણિક વર્ષ બગડતા બચી શકે.
વ્હાઈટ LED લાઈટે તો ભારે કરી:અમદાવાદીઓએ આંખે અંધારા લાવી દે એવા જવાબ આપ્યા
ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઈટ LED લાઈટ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે, ત્યારે આ LED લાઈટથી અકસ્માતો વધી રહ્યા છે અને વાહનચાલકોને શું મુશ્કેલી પડી રહી છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો હતો. પ્રશ્ન પૂછતાની સાથે જ અમદાવાદીઓએ આંખે અંધારા લાવી દે એવા જવાબ આપ્યા. કંઈ દેખાતું નથી સહિતની અનેક પરેશાનીઓ જણાવી હતી.
ચોરી મોટેભાગે પરિવારનું પેટ ભરવા અથવા તો પોતાની કુટેવો કે અય્યાસી સંતોષવા થતી હોય છે, પરંતુ ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબૂલાતોથી પોલીસ સાચા અર્થમાં હેબતાઈ ગઈ હતી. ચોરી બાદ ચોરે ધાર્મિક લાગણીઓ દુભાવતા ભગવાનના ફોટા ફાડી નાખીને પોલીસને દમ હોય તો પકડી બતાવો એવો પડકાર પણ ફેંક્યો. પોલીસે ગણતરીના કલાકમાં આ શબ્દો ઝીલી લઈ તેને જેલના હવાલે કર્યો છે. જ્યારે આ ચોરને પકડવામાં જોગાનુજોગ 2024માં બચાવવામાં જે ફોન કામ આવ્યો હતો તે જ આ ચોરને પકડવામાં પણ મદદરૂપ થયો છે. નોકરના તકિયા નીચેથી ચાવી કાઢી ઘરમાં ઘૂસ્યાવરાછા રોડ સ્થિત સાધના સોસાયટીમાં રહેતા અને હિન્દવા ગ્રુપના કેયૂર હિંમતભાઈ ખેની (મૂળ, પરવડી, તા. ગારીયાધાર, જિ. ભાવનગર) હોટલના વ્યવસાયી છે. તેમના ઘરે શુક્રવારે રાતે કંપાઉન્ડમાં સૂતેલા નોકર ચંદનના તકિયા નીચેથી ઘરની ચાવી મેળવી મુખ્ય દરવાજામાંથી તસ્કરે પ્રવેશ કર્યો હતો. ચોરોએ ગેસ્ટ રૂમ, બેડરૂમના કબાટમાં મૂકેલા સોનાની ચેન, કંદોરો, સોનાના બિસ્કિટ અને કડુ, 40 હજારના રેબનના ડિજીટલ ચશ્મા, બે ઘડિયાળ અને રોકડા રૂ. 4.50 લાખ, બે આઇફોન સહિત રૂ. 16.40 લાખની મતાની ચોરી કરી હતી. તસ્કરે મંદિરમાંથી ચાંદીની મૂર્તિ ચોરી, કૃષ્ણ ભગવાનના ફોટાને ફાડી નાખ્યોસવારે ખેની પરિવારના સભ્યો જાગ્યા ત્યારે ઘરના રૂમમાં સરસામાન વેરવિખેર જોતાં જ સમજાઈ ગયું હતું કે, ઘરમાં ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરના કંમ્પાઉન્ડમાં સુતેલા ઘરઘાટી ચંદન કામતીના તકિયા નીચે મુકેલી ઘરની ચાવી લઈ મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશી તસ્કર રોકડ અને દાગીના ચોરી કરી વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં જતા નજરે પડયો હતો. બનાવ અંગે કેયૂર ખેનીએ વરાછા પોલીસને જાણ કરતાં વરાછા પીઆઈ આર.બી.ગોજીયા સહિત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી હતી. તપાસમાં ચોંકાવનારી બાબત તો એ બહાર આવી કે, મકાનમાં ચોરી કરતા અગાઉ તસ્કરે મંદિરમાંથી ચાંદીની મૂર્તિ પણ ચોરી હતી, તેણે નજીક કૃષ્ણ ભગવાનના ફોટાને પણ ફાડી નાખ્યો હતો. આણંદ-તારાપુર નજીક બસમાંથી જ તસ્કરને ઊઠાવી લેવાયોવાત આટલેથી ન અટકીને પોલીસને પડકાર ફેંક્યો હતો. ચોરી કરીને વહેલી સવારે સાડા ચાર કલાકે રવાના થયો હતો. એ પછી એસટી બસમાં બપોરે બારેક વાગ્યે રવાના થયો પરંતુ તારાપુર ચોકડી પાસે એ આબાદ ઝડપાઈ ગયો હતો. તેણે કિંમતી જણસ સાથે ચોરેલા બે મોબાઈલના લોકેશનના આધારે જ પોલીસ તસ્કર સુધી પહોંચી ગઈ હતી. આણંદ અને તારાપુર નજીક બસમાંથી જ તસ્કરને ઊઠાવી લેવાયો હતો. પોલીસે તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. તસ્કરની પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ સોહિલ ગનીભાઈ પરમાર (ઉ.વ. 22, રહે. દિલ્હીગેટ, બ્રિજ નીચે, સુરત- મૂળ રહે. ભાદ્રોડ રોડ, તા. મહુવા, જિ. ભાવનગર) તરીકે આપી હતી. તસ્કરે મનોમન પોલીસને ચેલેન્જ આપી હતી કે દમ હોય તો મને પકડી જુઓવરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ચોર સોહીલ પરમારને ઝડપી પાડી હાથ ધરેલી પૂછપરછમાં ચોંકાવનારી હક્કીત બહાર આવી છે. ઘરઘાટીના તકિયા નીચેથી મોબાઇલ મળશે એવી આશા હતી પરંતુ સોહીલને ઘરની ચાવી હાથ લાગતા દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા બાદ સૌપ્રથમ શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડયો હતો. ત્યાર બાદ ચોરી કરવા મંદિર અને ત્યાર બાદ કબાટ વિગેરે ફંફોસ્યા હતા. આશ્ચર્યની બાબત તો એ છે કે, પોલીસ સમક્ષ એવી પણ કબૂલાત કરી હતી કે મેં મનોમન પોલીસને ચેલેન્જ પણ આપી હતી કે દમ હોય તો મને પકડી જુઓ. કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી તસ્કર બધું લઈ ગયોઉદ્યોગપતિ કેયુર હિંમતભાઈ ખેનીએ જણાવ્યું હતું કે, સવારના આઠ વાગ્યાના સુમારે અમને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારી માતાને તરત જ ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં પણ કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી તસ્કર બધું લઈ ગયો છે. અમે મંદિરથી રૂમ સુધી બધું ચેક કર્યું તો અમને જાણ થઈ. તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો 100 નંબર પર અને પોલીસની ગાડી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે પીઆઇ ગોજિયા અને પીએસઆઈ પરમાર આવી ગયા હતા. યાદગીરી રૂપે ફોન સાચવી રાખેલોપોલીસે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ મેળવી ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ પણ ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન પણ જતા રહ્યા છે, મારી માતાનો અને અમારો એક જૂનો ફોન કે જે 2024ના જુલાઈમાં એક અમારી સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડી અને અમે તણાઈ ગયા હતા એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચી ગયા હતા. તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો. પોલીસે જૂના ફોનનું ટ્રેકિંગ કર્યુંક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા. એટલે એ ફોન ચોરાયો એટલે પોલીસે એ ફોનનું ટ્રેકિંગ પણ શરૂ કરી દીધેલું. એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના અઢી કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો. ચોરનું લાઇવ લોકેશન જોતા હતાજોગાનુંજોગ એવું પણ થાય છે કે કદાચ એ એનો જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો. જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોત તો એ સ્પીડથી ન પકડાત. ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલા જ કહેવાય ને કે ભગવાન દ્વારકાધીશ જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતું હતું અહિયાં પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની દરેક ચેકપોસ્ટ રાહ જોઈ રહી હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલા અને તારાપુર અને વટામણની આસપાસ ચોરને પકડી પાડ્યો. અમારી દરેક વસ્તુ રિકવર થઈ ગઈઘરમાંથી નાનું મોટું પરચૂરણ વસ્તુઓ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી, થોડું ઘણું સેવિંગ્સ એમની પિગી બેંક, અમારી ઘડિયાળ આ બધું મળીને એ બધી રકમ 16 લાખ આસપાસની ગયેલી છે જે બધી જ વસ્તુ હેમખેમ ઈવન નાનું એક નખ્યું બી એ લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વીડિયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એકે એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. અમે લોક કરી સૂઇએ છીએ જેથી તે પ્રવેશી ના શક્યોઅમે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા પોલીસ ઇવન તારાપુર પોલીસ આ તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારી નજર સામે એક ફિલ્મી સ્ટાઈલમાં મિશન હતું. અમારા જીવ પણ ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો અને ત્યારે અમને ચોરી કરતા બીજી પણ કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસીબ કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છીએ અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમણે બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધી હતી.
વર્ષ 2010માં જ્યારે ગુજરાત પોતાની સ્થાપનાના 50 વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે સુરતને એક અદભૂત ભેટ મળી હતી. ભેસ્તાન-જીઆવ રોડ પર નવીન ફ્લોરિન કંપની દ્વારા અપાયેલી 93 હજાર સ્કેવર મીટર જમીનમાં નવીનચંદ્ર મફતલાલ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડનનું મુખ્ય આકર્ષણ ત્યાં સ્થાપિત વિશાળ 'ગાર્ડન ક્લોક' હતી. આ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલી વિશ્વની સૌથી મોટી ગાર્ડન ક્લોક કરતા પણ 2.20 મીટર મોટી બનાવીને સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી, જે તે સમયે ગૌરવની ક્ષણ હતી પણ આજે તે ગાયબ છે. આ વિશાળ ઘડિયાળના આંકડા બાકી છે અને કાંટા ગાયબ થઈ ગયા છે. પણ જનતાને ‘ખટકતો’ સવાલ એ છે કે આ વિશાળ ઘડિયાળના મેન્ટેનન્સના નામે કરાયેલા 28 લાખથી વધુના ખર્ચનો હિસાબ ક્યાં? ઘડિયાળ સેટેલાઇટ સાથે જોડાયેલી હતી અને GPSથી સંચાલિત થતી હતીઆ વિશાળકાય ઘડિયાળ કોઈ સામાન્ય મશીન નહોતું, પરંતુ તે સમયની આધુનિક ટેકનોલોજીનું મિશ્રણ હતું. અંદાજે 4,000 કિલોગ્રામ વજન ધરાવતી આ ઘડિયાળનો વ્યાસ 24 મીટર હતો. ચેન્નાઈમાં ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાયેલી આ ક્લોક સીધી સેટેલાઇટ સાથે જોડાયેલી હતી અને GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) દ્વારા સંચાલિત થતી હતી. તેની ખાસિયત એ હતી કે તે દર 30 મિનિટે રણકતી અને કલાક પૂરો થતા જેટલા વાગ્યા હોય તેટલા ટકોરા પાડતી હતી, જે તેને જીવંત રાખતું હતું અને પ્રવાસીઓને આકર્ષતું હતું. IST મુજબ સચોટ સમય બતાવનારી એશિયાની સૌથી મોટી વર્કિંગ ક્લોકશરૂઆતના વર્ષોમાં આ ગાર્ડન ક્લોકને જોવા માટે સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હતા. 21 લાખ રૂપિયાના જંગી ખર્ચે બનેલી આ ઘડિયાળ આકાશ તરફ મુખ રાખીને ગોઠવવામાં આવી હતી. તેને વધુ સુંદર બનાવવા માટે વિદેશથી આયાત કરેલા ખાસ ઘાસ અને રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે આ ઘડિયાળ માત્ર પ્રદર્શન માટે નથી, પરંતુ તે ભારતીય પ્રમાણભૂત સમય (IST) મુજબ સચોટ સમય બતાવનારી એશિયાની સૌથી મોટી વર્કિંગ ક્લોક છે. જાળવણીના અભાવે વિનાશ તરફ જતી વિરાસતસમય જતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની નિષ્કાળજીને કારણે આ વિશ્વકક્ષાની ઘડિયાળની હાલત ખરાબ થવા લાગી. ગાર્ડનની હરિયાળી જે એક સમયે આંખોને ઠંડક આપતી હતી, તે ધીમે ધીમે સૂકાવા લાગી. ઘડિયાળને સતત વીજ પુરવઠો આપવા માટે બનાવાયેલી અલગ ઇલેક્ટ્રિક લાઇન અને મશીનરીમાં ખામીઓ સર્જાવા છતાં સમયસર સમારકામ કરવામાં આવ્યું નહીં. લાખોના ટેક્સના રૂપિયા પાણીમાં ગયા હોય તેમ, જે આંતરરાષ્ટ્રીય સ્તરનું સીમાંચિહ્ન હતું તે હવે ધીરે ધીરે વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બનીને ખંડેર જેવું દેખાવા લાગ્યું છે. મેન્ટેનન્સના નામે કરાયેલ લાખોના ખર્ચનો હિસાબ ક્યાં?જ્યારે ઘડિયાળની હાલત બગડી, ત્યારે પાલિકાએ તેની જાળવણી માટે ફરીથી અંદાજે 7.50 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કર્યો હતો. આમ, કુલ મળીને અંદાજે 28 લાખથી વધુનો ખર્ચ આ પ્રોજેક્ટ પાછળ થયો હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ શૂન્ય છે. પ્રશ્ન એ ઉઠે છે કે આટલી મોટી રકમ ખર્ચાયા બાદ પણ ઘડિયાળ કેમ કાર્યરત ન થઈ? અધિકારીઓએ જાળવણીના નામે માત્ર કાગળ પર કામગીરી બતાવી હોય તેમ લાગે છે, પરિણામે આજે આ ઐતિહાસિક ક્લોક માત્ર તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બનીને રહી ગઈ છે. આંકડા બાકી પણ કાંટા ગાયબઆજે જો તમે આ ગાર્ડનની મુલાકાત લો, તો તમને આશ્ચર્ય અને આઘાત લાગશે. જે જગ્યાએ સેટેલાઇટથી ચાલતી ઘડિયાળ હતી, ત્યાં હવે માત્ર કચરો અને બંજર જમીન જોવા મળે છે. અહેવાલો મુજબ, ઘડિયાળની અંદરની કિંમતી મશીનરી અને વિશાળ કાંટાઓ પણ ત્યાંથી ગાયબ થઈ ગયા છે. જમીન પર માત્ર ઘડિયાળના આંકડાઓના નિશાન બચ્યા છે. આટલી મોટી મિલકત સુરક્ષિત રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સુરતની જનતાના પરસેવાના નાણાંથી બનેલી આ અમૂલ્ય ભેટ જાણે જમીન ગળી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની ધૃતરાષ્ટ્ર નીતિ અને જનતામાં રોષસુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે અથવા તો 'ધૃતરાષ્ટ્ર'ની ભૂમિકામાં આવી ગયા છે. એક તરફ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થાય છે અને બીજી તરફ જે સ્થાપત્ય વિશ્વભરમાં સુરતની ઓળખ બની શકે તેમ હતું, તેની આવી દુર્દશા કરવામાં આવી છે. લોકોમાં ભારે રોષ છે કે કરોડોનું બજેટ ગાર્ડન પાછળ વપરાતું હોવા છતાં આ અનોખી ગાર્ડન ક્લોક કેમ સાચવી ન શકાઈ? શું ભવિષ્યમાં આ ઘડિયાળ ફરી ધબકતી થશે કે પછી તે હંમેશા માટે ઇતિહાસના પાનામાં દફન થઈ જશે?
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
બનાવનો સમયગાળો 6 એપ્રિલ 2025 થી 22 મે 2025 (આરોપીઓ સિવાય તમામ પાત્રોના નામ બદલ્યા છે) ‘થાઇલેન્ડના બેંગકોકમાં આઇટી કંપનીમાં જોબનું કહીને મને ત્યાંથી લગભગ 400 કિલોમીટર દૂર લઈ ગયા. જંગલમાંથી, હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવી દીધી અને મ્યાનમારમાં ઘુસાડી દીધા. ત્યાંના એક ગામમાં એક વિશાળ બિલ્ડિંગમાં એ લોકો નકલી કૉલ સેન્ટર ચલાવતા હતા. મારો પાસપોર્ટ, મોબાઇલ લઇને એ લોકોએ મને ત્યાં કામમાં જોતરી દીધો. અમારે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં રહેતા ભારતીયો સાથે ફોન પર ચેટિંગ અને વાતચીત કરીને તેમને પૈસા રોકવા માટે લલચાવવાના એ અમારું કામ. એકવાર એ લોકો મને ફોનથી વીડિયો ઉતારતા જોઈ ગયા તો પાંચ દિવસ મને એક રૂમમાં હાથકડી બાંધીને લટકાવી રાખ્યો...’ વિદેશોમાં ઊંચા પગારની નોકરીની લાલચે જનારા અને અજાણ્યા કૉલ પરથી ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપતા-તેમાં ફસાતા લોકો સાથે કેવી હાલત થાય તેનું અમદાવાદનો અનુજ (નામ બદલ્યું છે) પર્ફેક્ટ ઉદાહરણ છે. અત્યંત સાધારણ પરિવારમાંથી આવતા અનુજ સાથે જે બન્યું તેની કથા સાંભળતાં અમે પણ થથરી ઊઠ્યા. સાયબર ક્રાઇમ, વિઝા ફ્રોડ અને હ્યુમન ટ્રાફિકિંગનું કાતિલ કોકટેલ ધરાવતો આ કેસ કોઇપણ વ્યક્તિની આંખો ખોલી દેવા માટે પૂરતો છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ના આજના એપિસોડમાં કોઈ વેબ સિરીઝને પણ આંટે એવી આ ખોફનાક સત્યકથા જાણીએ… ‘અગાઉ હું દુબઈમાં કામ કરતો હતો, પરંતુ ત્યાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય તેની પહેલાં જ અમદાવાદ આવી ગયો, કારણ કે જે ભાઈ અમને ત્યાં કામ કરવા લઈ ગયા હતા તેમની કંપની સાથે કોઈ માથાકૂટ થઈ ગઈ હતી એટલે મારે પરત આવવું પડ્યું. જોકે મને ત્યાં કામ કરવાની ઈચ્છા હતી એટલે મેં મારી રીતે અન્ય કોન્ટેક્ટ લગાવ્યા હતા. મારા એક મિત્રને પણ મેં તૈયાર કરી લીધો હતો. મારી પાસે તો પાસપોર્ટ હતો પરંતુ મારા મિત્ર પાસે પાસપોર્ટ હતો નહીં. એટલે હું અને મારો મિત્ર પાસપોર્ટ કઢાવવા 6 એપ્રિલ 2025 ના રોજ વડોદરામાં આવેલી ‘જય ભોલે ટ્રાવેલ બોર્ડિંગ પાસ’ નામની દુકાને પાસપોર્ટ બાબતે પૂછપરછ કરવા ગયા. અહીં અમારી મુલાકાત ઓફિસમાં હાજર કિંજલભાઈ શાહ સાથે થઈ કિંજલભાઈએ અમને પાસપોર્ટ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ બાબતે માહિતી આપી.’ 'અનુજને કિંજલ શાહે થાઈલેન્ડ જવાનું કહ્યું' ‘બીજા દિવસે હું અને મારો મિત્ર કિંજલભાઈની ઓફિસે ગયા અને કિંજલ ભાઈને કહ્યું કે અમારે પાસપોર્ટ અર્જન્ટમાં કઢાવવાનો છે. કિંજલભાઈએ કારણ પૂછ્યું, તો સાહિલે જવાબ આપ્યો કે મને દુબઈમાં નોકરીની ઓફર મળી છે, જેમાં વર્ક પરમિટ પણ મળવાની છે. જવાબમાં કિંજલભાઈએ કહ્યું કે દુબઈ કરતાં તો થાઈલેન્ડ સારું છે. થાઈલેન્ડમાં અમારા સંપર્ક પણ ઘણા છે, જેમાં ત્યાંની કંપની દ્વારા બે વર્ષની વર્ક પરમિટ મળશે અને કંપની જ રહેવા-જમવાની સુવિધા ફ્રીમાં આપશે. તમારે કોઈપણ ચાર્જ આપવાનો નહીં, ફક્ત અહીંથી ફ્લાઇટની ટિકિટ જ કરવાની. અહીં વડોદરાથી જ અમે અભિષેકસિંહને થાઈલેન્ડના બેંગકોક ખાતે મોકલી આપ્યા છે, જે ત્યાં સેટ પણ થઈ ગયા છે. કિંજલભાઈએ અમારી વાત અભિષેકસિંહ સાથે ફોન ઉપર કરાવી અને અમને તેમનો નંબર પણ આપ્યો.’ પોતાની વાત આગળ વધારતાં અનુજ કહે, ‘અભિષેક સાથે મોબાઇલ પર વાતચીત કરતાં તેણે જણાવ્યું કે હું છેલ્લા સાતેક મહિનાથી બેંગકોકની આઈ-ટેક કંપનીમાં ડેટા એન્ટ્રીની જોબ કરું છું. અહીં ગુજરાતના 7-8 માણસો પણ કામ કરે છે. તમે પણ અહીં આવી જાઓ, કોઈ ટેન્શન જેવું નથી. તમને તરત જ ફાવી જશે. તમારા કોઈ બીજા મિત્રોને પણ આવવું હોય તો અમને કહેજો.’ એલીએ વ્હોટ્સ એપ કોલ પર અનુજનો ઈન્ટરવ્યૂ લીધો દસેય આંગળાં ઘીમાં અને માથું કઢાઈમાં હોય એવી આ અદભુત ઑફર જોઇને અનુજે થાઇલેન્ડ જવાનું નક્કી કરી લીધું. સાથે પોતાના એક મિત્રને પણ તૈયાર કર્યો. બંનેએ પોતપોતાના પાસપોર્ટનો ફોટો અભિષેકને વ્હોટ્સએપથી મોકલી આપ્યો. ત્યારબાદ 12 એપ્રિલ 2025ના રોજ એક અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર ઇન્ટરવ્યૂ માટે વીડિયો કૉલ આવ્યો. રસપ્રદ વાત એ હતી કે સામેવાળી વ્યક્તિનો કેમેરા બંધ હતો, પણ અનુજ અને તેના મિત્રના કેમેરા ઑન રખાવીને તેમની કરિયર, અનુભવ અને ક્વોલિફિકેશન વિશે પૂછપરછ કરી. થોડા સમયમાં તો અનુજ અને તેના મિત્રને અભિષેક તરફથી વ્હોટ્સએપ પર આઇ-ટેક કંપનીનો ઑફર લેટર પણ મોકલી આપ્યો. અભિષેકે કૉલ કરીને કહ્યું કે શરૂઆતમાં તમારે ટુરિસ્ટ વિઝા પર આવવાનું રહેશે, પછી કંપની તરફથી વર્ક પરમિટ મળી જશે. આ સમગ્ર પ્રોસેસ, કંપનીના ડોક્યુમેન્ટ અને અભિષેકની પ્રોફેશનલ વાતો સાંભળીને અનુજ અને તેના મિત્રને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો હતો. બંનેએ 16 એપ્રિલ 2025ની અમદાવાદથી બેંગકોક જવાની બે ટિકિટ બુક કરી લીધી. નવા દેશમાં નવી નોકરી અને ઢગલાબંધ રૂપિયા કમાવાનાં સપનાં આંખોમાં આંજીને બંને મિત્રો થાઇલેન્ડ પહોંચ્યા. 17 એપ્રિલ 2025 બેંગકોક એરપોર્ટ, થાઇલેન્ડ. હવે અહીંથી આ બંને મિત્રોનું સોનેરી સપનું દુઃસ્વપ્નમાં પલટાવાની શરૂઆત થવાની હતી, જેનો તેમને સપનેય ખ્યાલ નહોતો. અનુજ કહે છે, ‘બેંગકોક એરપોર્ટ પર પહોંચતાં અમે અભિષેકને ફોન કર્યો. અભિષેકે જણાવ્યું કે તમને થોડીવારમાં અમારી કંપની તરફથી એક ટેક્સી લેવા માટે આવશે. તમે એરપોર્ટ બહાર ઉભા રહેજો. હું તમને વેલસી નામના વ્યક્તિનો એક નંબર મોકલી આપું છું. એ નંબર પર વ્હોટ્સએપ કોલ કરીને તમે વાતચીત કરી લેજો. હું ઓફિસમાં કામમાં વ્યસ્ત હોઈશ એટલે ફોન નહીં ઉપાડી શકું. અમે તે નંબર પર સંપર્ક કરતાં વેલસીએ ફોન ઉપાડ્યો અને અમારી સાથે હિન્દીમાં વાતચીત કરીને અમને કહ્યું કે તમે એરપોર્ટની બહાર જે જગ્યાએ ઉભા છો તેનો ફોટો મને મોકલી આપો. અમે ફોટો મોકલ્યો એટલે થોડીવારમાં અમારી પાસે ટેક્સી કાર આવી અને અમને અમારાં નામ પૂછ્યાં અને પછી કારમાં બેસી જવાનું કહ્યું. અમે તે ટેક્સીમાં બેઠા તે સાથે જ ટેક્સી ડ્રાઇવરે અમને અમારો પાસપોર્ટ આપી દેવાનું જણાવ્યું. અમે તેને પાસપોર્ટ આપવાની ના પાડી અને મેં અભિષેકને ફોન કરીને આ વાત જણાવી. અભિષેકે કહ્યું કે અરે, આ તો કંપનીની ફોર્માલિટી છે. ડ્રાઇવર તમારો પાસપોર્ટ કંપની પર પહોંચીને પરત આપી દેશે. એટલે અમે અમારો પાસપોર્ટ ડ્રાઇવરને આપી દીધો.’ અનુજને બેંગકોકથી અંદાજે 400 કીલોમીટર દૂર મ્યાનમારમાં લઈ ગયા હવે અનુજ અને તેના મિત્રએ પોતાનાં કાંડાં કાપી આપ્યાં હતાં. ટેક્સીમાં ટ્રાવેલ કરતાં કરતાં 100 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. વચ્ચે ચા-નાસ્તા માટે ઊભા રહ્યા. મેં અભિષેકને કૉલ કર્યો, પણ એણે ઉપાડ્યો નહીં. આમ કરતાં કરતાં બેંગકોકથી છેક 400 કિમી દૂર આવેલા તક સિટીમાં અમને લઇ ગયા. હવે અમને દાળમાં જબરદસ્ત કાળું લાગ્યું. કેમ કે, અમને કહેવાયું હતું કે કંપનીની ઑફિસ બેંગકોકમાં જ છે. મેં અભિષેકને ફરી કૉલ કર્યો. આ વખતે એણે ઉપાડ્યો. એ કહે કે, અરે તમે 20 કિમી જ દૂર છો. પહોંચ્યા જ સમજો. પરંતુ અમે ન પહોંચ્યા. કંપનીને બદલે અમને એક હોટેલમાં રાખવામાં આવ્યા. હવે અભિષેકનો પણ કોન્ટેક્ટ નહોતો થતો. અમને લઇ આવેલા લોકોએ કહ્યું કે હવે તમારે અહીં જ રહેવું પડશે. તમારા મિત્રને જવું હોય તો જઈ શકે છે. આ તબક્કે અમને વિશ્વાસ આવી ગયો હતો કે અમારી સાથે ફ્રોડ થયો છે. એટલે મેં મારા મિત્રને પાછો મોકલી દીધો. ભારતમાં વીડિયો કૉલથી ઇન્ટરવ્યૂ લેનારા વેલસીને અમે ફોન કર્યો, તો એણે ધમકીભરી ભાષામાં અમને કહ્યું કે, હવે તો તું અહીંથી નહીં જઈ શકે. હું બરાબરનો ફસાઇ ગયો હતો.’ 30 કીલોમીટર જેટલો વિસ્તાર જંગલમાં કાપ્યો અહીંથી અનુજની વીતકકથા વધુ ભયાવહ બનતી જાય છે. ‘હોટેલ પર મારા જેવા અન્ય કેટલાક લોકો પણ હતા. અમને લેવા માટે ચાર-પાંચ ગાડીઓ ભરીને ચાઇનીઝ જેવા દેખાતા લોકો આવ્યા’, અનુજ કહે છે, ‘અમને ગાડીમાં બેસાડીને 25-30 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં લઈ ગયા. અહીં અમને ગાડીમાંથી ઉતારીને અડધો કલાક બેસાડી રાખ્યા. બાદમાં બીજી ચાર-પાંચ ગાડી આવી. વધુ 15-20 કિમી દૂર લઇ જઇને ઉતાર્યા. આ રીતે ગાડીઓ બદલતાં બદલતાં આગળ વધ્યા, તેમાં એક કેનાલ આવી. આ લોકોએ નાવડી દ્વારા અમને કેનાલ ક્રોસ કરાવી. એ પછી એક ગાડીમાં બેસાડીને ‘કેકે પાર્ક’ નામના બોર્ડર ટાઉનમાં લઇ ગયા. થોડીવાર માટે અમારા પાસપોર્ટ અમને પરત આપીને ફરી પાછા જમા લઈ લીધા. આખરે અમને કહેવામાં આવ્યું કે તમે હવે મ્યાનમારમાં છો.’ છોકરીની ફેક પ્રોફાઈલ બનાવીને ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપતા યાને કે તમને થાઇલેન્ડની જોબનું કહીને ગેરકાયદે મ્યાનમારમાં ઘુસાડવામાં આવ્યા? એ સમય યાદ કરીને ધ્રુજતા અવાજે અનુજ કહે, ‘હા, અમને એક કંપનીનું આઇ કાર્ડ અપાયું ને કામની માહિતી પણ અપાઈ.’ ત્યાં પણ ડેટા એન્ટ્રીનું જ કામ હતું કે? અમે પૂછ્યું. ‘અરે, એ તો નકલી કૉલ સેન્ટર હતું!’ અનુજે વધુ એક ફ્રોડનો ફોડ પાડ્યો, ‘એ લોકોએ ત્યાં એક આખા વિસ્તારમાં કૉલ સેન્ટર ઊભું કરેલું. ત્યાં અનેક દેશના લોકો કામ કરતા હતા, જેમને મારી જેમ ગેરકાયદે ગોંધી રાખીને કામ કરાવવામાં આવતું હતું. ત્યાં તેમની પાસે કેનેડા, અમેરિકા જેવા દેશોમાં રહેતા નાગરિકોને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટનું લાલચ આપીને રૂપિયા પડાવવામાં આવતા હતા. પૈસા લઈને તેમને એક નકલી એપ્લિકેશનમાં તેમની રકમ પણ દેખાડતા હતા. જોકે, જેવી તે વ્યક્તિ પોતે ઈન્વેસ્ટ કરેલા રૂપિયા પરત માગે એટલે ફોન, અકાઉન્ટ અને તમામ પ્રકારનો કોન્ટેક્ટ બંધ કરી દેતા. કેટલાક લોકોને તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર કોઈ છોકરીની ફેક પ્રોફાઈલ બનાવીને કેનેડા, US જેવા દેશોના ભારતીયો સાથે સતત ફોન પર ચેટિંગ મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લલચાવવાનું અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાનું કામ સોંપાયું હતું. હું જે ઓફિસમાં હતો ત્યાં જ અંદાજે 150 જેટલા લોકો કામ કરતા હતા. મોટાભાગના લોકો એકબીજાની ભાષા પણ સમજતા નહોતા, એ લોકો ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા એકબીજાની સાથે કમ્યુનિકેટ કરતા હતા. પરંતુ મેં એ લોકોને આ કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.’ કામ કરતા તમામ લોકોનો ફોન એક સોફ્ટવેરમાં ચેક થાય હતો પરંતુ અનુજનો એ વિરોધ ઝાઝો ટક્યો નહીં. ‘મેં કામ કરવાની ના પાડી તો આ લોકોએ મને ધમકી આપી કે, 'જો તું આ કામ નહીં કરે તો સમજી લે કે તું થાઇલેન્ડના વિઝા પર ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમારમાં આવી ગયો છો. એટલે તારા પર ઓટોમેટિક ગુનો દાખલ થઈ જશે.' આવું સાંભળીને હું ગભરાઈ ગયો. મારી પાસે હવે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ત્યાં કામ કરવું પણ ઘણું અઘરું હતું. મારે રાત્રે 11થી સવારે 11 સુધી કામ કરવાનું રહેતું. રાત્રે ઓફિસમાં જાઓ એટલે તમારો ફોન જમા થઈ જાય, જે સવારે 11 વાગ્યે કામ પૂર્ણ થતાં પરત આપે. આખી રાત એ લોકો આપણો ફોન એક સોફ્ટવેરમાં ચેક કરે અને જુએ કે આપણે કોઈને કોઈ માહિતી તો આપી નથી ને? આપણે કરેલા કૉલ ડિલિટ કર્યા હોય તો પણ એમને તે સોફ્ટવેરની મદદથી ખબર પડી જતી. અને જો ખબર પડી જાય તો તેમની પોતાની અલગ જેલ હતી ત્યાં કેદ કરીને સજા આપતા હતા.’ એગ્રીમેન્ટ મુજબ નિયમો તોડો તો ₹3,50,000 જેટલી દંડની રકમ ભરવાની બીજી આઘાતજનક વાત એ હતી કે જે અભિષેકના ભરોસે અનુજ થાઇલેન્ડ ગયો હતો, તે તો ગુજરાતમાં જ બેઠો હતો! આ કંપનીમાં એ કામ કરતો જ નહોતો. અનુજે પોતાની વાત આગળ ધપાવી, ‘આ લોકોએ 19 એપ્રિલ 2025થી લઈને 22 મે 2025 સુધી મને અટકાયતમાં રાખ્યો અને મારી સાથે બીજા માણસોની ટ્રેનિંગ ચાલુ કરાવી દીધી. ટ્રેનિંગ દરમિયાન મારી પાસે એક એગ્રીમેન્ટ સાઈન કરાવ્યો, જેમાં આ ગેરકાયદેસર કામ કરવા માટેના નિયમો લખ્યા હતા. જો હું આ નિયમો તોડું તો મારે ₹3,50,000 જેટલી દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ રકમ મને અહીં લાવવાનો ખર્ચો હતો, જે આ લોકો આવી રીતે અમારી પાસેથી કઢાવતા હતા. આ કોન્ટ્રાક્ટ મેં સાઇન કર્યો પછી જ એમણે મને રહેવા અને જમવાની સુવિધા આપી. હું મજબૂરીમાં અને બંધનમાં ત્યાં કામ કરવા લાગ્યો.’ તો આ વિષચક્રમાંથી નીકળવા માટે તમે કોઇ પ્રયાસો કરેલા ખરા? અનુજ કહે, ‘હા, પણ મને એવું હતું હું ઘરે કોઈને ટેન્શન ન આપું અને કોઇક રીતે અહીંથી છૂટકારો થાય તે પછી જ ઘરે બધી વાત કરું. પરંતુ સમય ઘણો થઈ ગયો હતો અને હું બે મહિનાના ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ આવ્યો હતો. જે એ સમય વીતી જાય તો મારે થાઈલેન્ડના ઇમિગ્રેશન કાયદા મુજબ થાઈલેન્ડની જેલમાં જવું પડે. ફાઇનલી, મેં હિંમત કરીને વડોદરામાં રહેતાં મારાં બહેનને ફોન કર્યો અને બધી હકીકત જણાવી. બધું જાણીને એ લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા. પરંતુ ત્યાંના એક પોલીસ કર્મીએ એવું કહ્યું કે, તમારા ભાઈને કહો કે, ત્યાંથી એક વીડિયો બનાવીને અહીં મોકલે એટલે અમને વિશ્વાસ આવે. પોલીસના કહેવા પર મેં અહીં એક વીડિયો બનાવ્યો, પણ કમનસીબે હું પકડાઈ ગયો.’ 'મને એવું જ લાગતું હતું કે હું અહીં જ મરી જઇશ' અરે બાપરે! પછી? અનુજે શૉકિંગ હકીકત જણાવી, ‘એ લોકોએ અંદર જે જેલ બનાવેલી, તેમાં મને ઠૂંસી દીધો. ત્યાં એ લોકોએ મને સખત શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કર્યો. સવારે પાંચ વાગ્યે એ લોકો મને હાથકડી બાંધીને હાથ ઊંચા કરાવીને એક પાઇપ સાથે લટકાવી દેતા. પછી 11-12 વાગ્યે જમવા માટે 10-15 મિનિટ માટે મારા હાથ ખોલતા અને ફરી મારા હાથ બાંધી દેતા, જે છેક સાંજે જમવા માટે હાથ ખોલતા. બાદમાં રાત્રે 10-11 વાગ્યે ઊંઘવા માટે હાથ ખોલી આપે. ફરી સવારે પાંચ વાગ્યે ઉઠાડીને આ રીતે લટકાવી દેતા. આ રીતે પાંચ દિવસ સુધી મને બેહદ ટોર્ચર કર્યો. મને એવું જ લાગતું હતું કે હું અહીં જ મરી જઇશ અને મારી લાશ પણ ઘરે નહીં પહોંચે. પરંતુ આ લોકોનો એવો નિયમ હતો કે, આ લોકો કોઈને મારતા નહોતા, પરંતુ કડક નિયમો થકી માનસિક હેરાન કરતા હતા.’ ઓનલાઈન 3 લાખ 50 હજાર આપ્યા ત્યારે છુકટારો થયો તો ત્યાંથી તમારો છૂટકારો કેવી રીતે થયો? ‘આખરે એ લોકોને ખ્યાલ આવી ગયો કે હું એમને વશ નહીં થાઉં અને ત્યાં કામ પણ નહીં કરું. એટલે એ લોકોએ મને જણાવ્યું કે જો તારે અહીંથી નીકળવું હોય તો એગ્રીમેન્ટ મુજબ તારે દંડના રૂપિયા ભરવા પડશે. મેં કહ્યું કે મારી પાસે આટલી મોટી રકમ નથી. પરંતુ હું ત્યાંથી બહાર નીકળવા માટે મરણિયો થયો હતો. આથી મેં મારા એક મિત્રને ફોન કર્યો અને મારા મિત્રએ મારા સંબંધીને આ તમામ હકીકત જણાવી પછી. તેમણે સાડા ત્રણ લાખ રૂપિયા ઓનલાઇન અહીં મોકલી આપ્યા, જે બાદ અહીંથી મહામુસીબતે મારો છુટકારો થયો.’ ત્યાંથી તમે સીધા ભારત આવ્યા? ‘ના’, અનુજ કહે, ‘ફરી એ જ સફર શરૂ થઈ. ત્યાંથી નીકળીને એ લોકોએ મને જંગલ પાર કરાવ્યું. મ્યાનમાર અને થાઈલેન્ડની બોર્ડરને પરની નદી ક્રોસ કરાવી. જેવા થાઇલેન્ડમાં એન્ટર થયા કે તરત જ એ લોકોએ મને ગાડીમાંથી ઉતારીને રસ્તા પર પટકી દીધો. મને કહે કે હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. મને ખબર પણ નહોતી કે હું થાઇલેન્ડના કયા વિસ્તારમાં છું. રાતનો ઘોર અંધકાર હતો. આખા રોડ પર કોઈ માણસ નહીં, કોઈ નાનકડી લાઇટ સુદ્ધાં નહોતી.’ છરી બતાવીને ધમકાવીને મારી પાસેથી બધો સામાન લૂંટી ગયા ‘અંધારામાં હું રોડ પર ચાલતો ચાલતો જતો હતો. ખબર નહીં હું કેટલું ચાલ્યો હોઇશ, પણ એક બસ સ્ટેન્ડ આવ્યું એટલે હું ઊભો રહ્યો. ત્યાં અચાનક મારી પાસે 7-8 લોકો આવી ગયા અને છરી બતાવીને ધમકાવીને મારી પાસેથી મારો બધો સામાન લૂંટી ગયા. બે બેગ ભરીને સામાનમાં મારાં 40 જોડી કપડાં, અન્ય સામાન… બધું જ લૂંટાઇ ગયું. મને વધુ આઘાત લાગ્યો. હવે મારી પાસે કશું જ નહોતું. જોકે મેં બુદ્ધિ વાપરીને મારો પાસપોર્ટ મારા બૂટમાં સંતાડી દીધો હતો, એટલે એ બચી ગયો. બીજી સારી વાત એ થઇ કે મારો મોબાઇલ બચી ગયો હતો. એટલે મેં ઇન્ડિયા ફોન કરીને મારા સંબંધી મહેશભાઈને બધી હકીકત જણાવી. તેમણે મારો વીડિયો કોલ સતત ચાલુ રખાવ્યો અને ફરી હિંમત કરીને ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા મને એક પોલીસના કપડામાં એક ઓફિસર દેખાયા જેમને મેં બધી હકીકત જણાવી. મારી હાલત જોઈને તથા મારી વાત સાંભળીને તે પોલીસવાળા ભાઈ અને તેમનો સ્ટાફ મારી સાથે તે જગ્યા પર આવ્યો. જ્યાં મારી સાથે લૂંટ થઈ હતી પરંતુ ત્યાં કોઈ મળ્યું નહીં. એ લોકો ભાગી ગયા હતા. બાદમાં પોલીસને મેં મારી આપવીતી જણાવી. પછી તેમણે મને એક રુમની વ્યવસ્થા કરી આપી જ્યાં હું રાત્રે સૂઈ ગયો. સવાર પડતાં બસમાં બેસીને બેંગકોક આવવી નીકળી ગયો. ત્યાં પહોંચીને મેં મારા સંબંધી મહેશભાઈ પાસેથી રુપિયા મંગાવીને અમદાવાદ આવવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી અને 23 મે 2025ના રોજ અમદાવાદ પરત આવ્યો.’ અનુજે કહ્યું હતું, મારો નંબર બંધ આવે તો રિયોના નંબર પર સંપર્ક કરવો એ બે મહિના દરમિયાન જ્યારે અનુજ પર આ બધું વીતી રહ્યું હતું ત્યારે અહીં ભારતમાં તેનાં માતા-પિતાને પણ દીકરો ગુમાવી બેસવાનો ફડકો પેસી ગયો હતો. અનુજનાં માતા પિતા વૃદ્ધ અને ઓછું ભણેલાં હોવાથી તેમને આ બધી બાબતે કંઈ ખબર પડતી નહતી. એટલે આ કેસમાં અનુજને મ્યાનમારથી બહાર કાઢવામાં મદદ કરનાર તેના નજીકના સંબંધી મહેશભાઈ ફરિયાદી બન્યા હતા. અમદાવાદમાં રહેતા મહેશભાઈના જણાવ્યા મુજબ, ‘15 એપ્રિલ 2025ના રોજ હું મારા ઘરે હતો. સાંજે 06:30 વાગ્યાની આસપાસ મારાં ફોઈ અને તેમનો દીકરો અનુજ મારા ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન વાતચીત કરતાં અનુજે મને જણાવ્યું કે, મારું અને મારા એક મિત્રનું થાઈલેન્ડના બેંગકોકમાં આવેલી આઈ.ટેક કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરવાનું નક્કી થયું છે. અમારી 16 એપ્રિલ 2025 તારીખની અમદાવાદથી બેંગકોક જવાની ફ્લાઈટ છે એટલે તમે મને એરપોર્ટ મૂકવા આવજો. અમારા ઘરનો દીકરો વિદેશમાં કમાવા માટે જતો હોય તો કોને ના ગમે? 16 તારીખે અમે ઘરના બધા સભ્યો અનુજ અને તેના મિત્રને અમદાવાદ એરપોર્ટ પર મૂકી આવ્યા. બેંગકોક પહોંચ્યા બાદ અનુજની મારા મોટા ભાઈ સાથે અઠવાડિયામાં 2-3 વખત મોબાઈલ પર વાતચીત થતી રહેતી હતી. આ દરમિયાન અનુજે તેની સાથે કામ કરતા કોઈ રિયોનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે, મારો નંબર કદાચ બંધ આવે તો આ રિયોના નંબર પર સંપર્ક કરવો.’ 'આ જગ્યાનો વીડિયો ઉતાર્યો એટલે પાંચ દિવસની સજા મળી' ‘15 મે 2025ના રોજ મારા ઘરે મારા મોટા ભાઈ મારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે, મારી પર અનુજના એક મિત્રનો ફોન આવ્યો છે અને કહ્યું છે કે, અનુજે મને ફોન કરીને માહિતી આપી છે કે, અમે અહીં બેંગકોકમાં કામ કરવા માટે આવ્યા હતા પરંતુ આ લોકો અમને છેતરીને મ્યાનમાર દેશમાં લઈ આવ્યા છે અને અમે ફસાઈ ગયા છીએ. પરત આવવા પણ નથી દેતા. પાછું આવવા માટે આ લોકો રુપિયા માગે છે. આ સાંભળીને અમે તાત્કાલિક અનુજને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. પછી મારા મોટા ભાઈએ તેના ત્યાંના મિત્ર રિયોને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે, અનુજે તેના ફોનમાં આ જગ્યાનો વીડિયો ઉતાર્યો હતો અને કોઈને મોકલ્યો પણ હતો આ બધું કરતા તે પકડાઈ ગયો છે એટલે અનુજને પાંચ દિવસની સજા મળી છે એટલે તે કેદમાં છે. તમે કોઈ ચિંતા ન કરો. અનુજ બહાર આવશે એટલે તરત જ અમે તમારી સાથે તેની વાત કરાવીશું.’ સગા સંબંધીઓના અને મિત્રો પાસેથી તાત્કાલિક રુપિયા લેવા પડ્યા મહેશભાઇ આગળ વાત કરતાં કહે, ‘20 મે 2025ના રોજ મારા મોટા ભાઈના ફોન પર કોઈ અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો. સામેથી અનુજનો અવાજ સંભળાયો. અમે ચોંકી ઊઠ્યા. અનુજે ગભરાતાં ગભરાતાં બધી વાત કરતાં કહ્યું કે, અહીં લોકોને છેતરવાનું કામ થાય છે. અહીં લોકોને વર્ક પરમિટના નામે બોલાવે છે અને અહીં બુલાન કરીને એક ચાઈનીઝ બોસ છે. ગુજરાત સહિત અલગ અલગ જગ્યાના લોકોને બોલાવીને લોકો પાસેથી સાયબર ફ્રોડનું કામ કરાવે છે. મારે અહીં આવું કામ કરવું નહતું અને આ લોકોની વિરુદ્ધમાં ફરીયાદ કરવી હતી એટલે મેં અહીંનો વીડિયો મારા ફોનમાં ઉતાર્યો હતો, પરંતુ હું પકડાઈ ગયો અને આ લોકોએ પાંચ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યો અને મારો ફોન પણ જમા લઈ લીધો. હવે આ લોકો મને પરત આવવા દેતા નથી અને અહીં નીકળવા માટે 3 હજાર ડૉલર ભરવાનું કહે છે. આ બધું જાણ્યા બાદ અમે કહ્યું કે, અહીંથી ડોલરમાં કેવી રીતના મોકલીએ? એટલે અનુજે કહ્યું કે, ‘અહીં વાત કરીને તમને ફોન કરું આટલું કહેતા જ અનુજનો ફોન કટ થઈ ગયો અને પછી અમે ફોન કર્યો તો લાગ્યો નહીં પછી છેક રાત્રે 12 વાગ્યે અનુજનો ફોન આવ્યો અને કહ્યું કે, હું અહીંથી તમને 2 સ્કેનર મોકલું છું જેમાં ટુકડે ટુકડે 3 હજાર ડૉલર (ભારતીય કરન્સી મુજબ 3 લાખ 50 હજાર રૂપિયા) મોકલી આપો, જેમાં 50 હજાર બોર્ડર ક્રોસ કરવા માટે આપવાના છે. મને વ્હોટ્સએપ પર સ્કેનર મળતાં જ મારા ખાતામાંથી મારા સગા સંબંધીઓના અને મિત્રો દ્વારા ટુકટે ટુકડે 50-50 હજાર કરીને 3 લાખ 50 હજાર રૂપિયા ગૂગલ-પે દ્વારા મોકલી આપ્યા અને તેના સ્ક્રીન શોટ પણ અનુજ જે નંબરથી ફોન કરતો હતો તે નંબર પર ઉપર મોકલી આપ્યા. અનુજ 23 મે 2025ના રોજ અમદાવાદ પહોંચ્યો રુપિયા મોકલ્યા પછી બીજા દિવસે એટલે કે 21 મેના રોજ અનુજનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે, મને મારો પાસપોર્ટ મળી ગયો છે. આજે સાંજે અથવા રાત્રે આ લોકો મને મ્યાનમાર બોર્ડરથી બેંગકોક મોકલી આપશે. મોડી રાત્રે અનુજ બેંગકોકના એરપોર્ટ પર પહોંચી ગયો પરંતુ તેની પાસે અમદાવાદ પરત આવવાની ફ્લાઈટમાં ટિકિટ બુક કરવાના રુપિયા નહતા એટલે અમે અહીંથી અનુજને બીજા 20 હજાર રુપિયા ઓનલાઈન મોકલ્યા અને પછી તે 17 હજારમાં બેંગકોકથી અમદાવાદની ફ્લાઈટ ટિકિટ બુક કરીને 23 મે 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર હેમખેમ પહોંચ્યો.’ મ્યાનમારમાં બેઠેલા આરોપીઓ સુધી હજી પોલીસ પહોંચી શકી નથી દિવ્ય ભાસ્કરે આ કેસમાં ભોગ બનેલા અનુજ સાથે સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી જ આ સમગ્ર માહીતી મેળવી હતી. હાલમાં તે અમદાવાદમાં રહે છે અને નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમની વિદેશમાં જવાની હવે કોઈ જ ઈચ્છા નથી રહી. ગભરાયેલો અનુજ અમદાવાદ પહોંચી ગયો, પરંતુ પોલીસ ફરિયાદ કરવા માટે તેની હિંમત ચાલતી નહોતી. આખરે 10-12 દિવસ પછી સાયબર ક્રાઈમમાં વડોદરાની ‘જય ભોલે ટ્રાવેલ બોર્ડિંગ પાસ’માં કામ કરતા અને બેંગકોક જવાની સલાહ આપનાર કીંજલ શાહ, બેંગકોકમાં વર્ક પરમિટના નામે બોલાવનાર અભિષેક, વ્હોટ્સએપ કોલ કરીને ઈન્ટરવ્યૂ લેનાર એલી, અજાણ્યો વ્યક્તિ વેલસી અને ત્યાંની ઓફીસમાં કામ કરતો ચાઈનીઝ બોસ બુલાન વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો. જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમે વડોદરાથી કીંજલ શાહ અને અભિષેકની ધરપકડ કરી લીધી. જ્યારે મ્યાનમારમાં બેઠેલા આરોપીઓ સુધી હજી પોલીસ પહોંચી શકી નથી. અભિષેકને અહીંથી માણસ મોકલવા માટે 1 લાખ રુપિયા કમિશન મળતું હતું ભાસ્કરે આ કેસ ડીટેક્ટ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટર પી.વી.વાઘેલા સાથે પણ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, અભિષેક અગાઉ અહીં મ્યાનમારમાં આ જ ફ્રોડ વાળા કોલ સેન્ટરમાં નોકરી કરીને વડોદરામાં પરત આવી ગયો હતો પરંતુ તે ત્યાં મ્યાનમાર વાળા લોકોના કોન્ટેકમાં હતો અને તેને અહીંથી માણસ મોકલવા માટે 1 લાખ રુપિયા કમિશન આપવામાં આવતું હતું. જ્યારે અભિષેક અનુજ જોડે ફોન પર વાત કરતો હતો ત્યારે બરોડામાં જ હતો પરંતુ અનુજ સાથે એવી રીતના વાત કરતો હતો કે, હું બેંગકોકમાં સેટ છું તમે પણ અહીં આવી જાઓ કોઈ તકલીફ નહીં પડે. બાદમાં તે કોઈ કામ માટે દુબઈ ગયો હતો એટલે અમે તેની સામે લુક આઉટ નોટીસ જાહેર કરી પછી તે દુબઈથી પરત આવ્યો ત્યારે લખનઉ એરપોર્ટ પર તેની ધરપકડ કરી લેવાઈ. જ્યારે મ્યાનમારમાં બેઠેલા આરોપીઓ બુલાન, એલી અને વેલસી આ બધા લગભગ 100 ટકા ખોટા નામના હોય છે અને તેમની કોઈ ચોક્કસ જાણકારી પણ નથી જેમ કે, આ લોકોનો કોઈ પાસપોર્ટ ફોટો હોય અથવા કોઈ સાચો મોબાઈલ નંબર હોય તો વિદેશ મંત્રાલયમાં તેની કાર્યવાહી કરી શકાય છે. પરંતુ તેમાં આપણા દેશની તે દેશ સાથેની સંધિ કેવી છે તે જોવું પડે પછી જ કાર્યવાહી શક્ય બને છે. જેમ કે, અહીં આપણા દેશમાંથી તેમના દેશમાં જાણ કરવામાં આવે પછી ત્યાંની પોલીસ તે જગ્યા પર રેડ કરે વગેરે... આ કેસમાં ભોગ બનનારના ફોનમાંથી મ્યાનમારના આરોપીઓની કોઈ ચોક્કસ જાણકારી મળી નહતી એટલે તેમની કાર્યવાહી શક્ય નથી બની શકી.
7 વર્ષની બાળકી ઘર બહારથી ગુમ થઈ:આખું ગામ શોધવા નીકળ્યું, સાંજ પડતાં કાળજું કાપી ઉઠે એવો ખુલાસો થયો
ભારતના કાયદા પ્રમાણે સૌથી જઘન્ય અપરાધની શ્રેણીમાં કોઈ કેસ આવે તો દોષિતને કેપિટલ પનિશમેન્ટ આપવામાં આવે છે. એટલે કે મૃત્યુદંડની સજા. પણ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એક એવા શોકિંગ કેસની જેમાં કોર્ટે એક જ કેસમાં નરાધમને “ડબલ ફાંસી”ની સજા સંભળાવી. જેના કારણે આ કેસ ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. 2019ના ઓક્ટોબર મહિનાની 28 તારીખની આ વાત છે. એ દિવસે બેસતું વર્ષ હતું. ગુજરાતીઓ માટે વર્ષનો સૌથી આનંદદાયક દિવસ. આ દિવસે આંગણે સાથિયા પુરાય, આસોપાલવના તોરણો ઘરના દરવાજે લટકે અને દરેકના ચહેરા પર ખુશી હોય. આણંદના ખંભાત તાલુકામાં આવેલું એક ગામ પણ નવા વર્ષના ઉત્સાહમાં ડૂબેલું હતું. લોકો એકબીજાને ભેટીને સાલ મુબારક કહી રહ્યા હતા, મોઢા મીઠાં કરાવી રહ્યા હતા. પણ નિયતિએ આ શુકનવંતા દિવસે એક પરિવાર માટે કોઈ જુદી જ અને ભયાનક પટકથા લખી રાખી હતી. બપોરનો સમય થયો હતો. પંકજભાઈના (નામ બદલ્યું છે) ઘરે પણ તહેવારનો માહોલ હતો. બાળકોએ નવા નકોર કપડાં પહેર્યા હતા. સાત વર્ષની તેમની દીકરી નવા કપડામાં જાણે નાનકડી પરી જેવી લાગતી હતી. પરિવારે સાથે બેસીને ભોજન કર્યું. ભોજન બાદ આ બાળકી હસતા ચહેરે પોતાની માતા પાસે આવી. તેણે ઉછળતા-કૂદતા કહ્યું, મમ્મી… હું ફળિયામાં રમવા જાઉં? માએ તરત જ પરવાનગી આપતા માથું ધૂણાવ્યું અને સાથે જ શિખામણ આપતા કહ્યું, જા બેટા, પણ જલ્દી પાછી આવી જજે. દીકરી ફરી એકવાર કૂદતી-કૂદતી બહાર નીકળી ગઈ. પંકજભાઈને જમીને સહેજ જોકું આવી ગયું અને તેઓ ઓસરીમાં જ સૂઈ ગયા. ઘરના અન્ય સભ્યો પોતાના કામમાં પરોવાયા હતા. કોઈને અંદાજ નહોતો કે દીકરીના એ પગલાં ઘરના ઉંબરે છેલ્લીવાર પડી રહ્યા છે. બપોરના લગભગ અઢી વાગ્યા હતા. પંકજભાઈની આંખ ખુલી. આસપાસ જોયું તો ઘરમાં સન્નાટો હતો. કારણ કે દીકરી ઘરમાં ન હતી. વિચારવા લાગ્યા કે દીકરી અત્યારે ક્યાં ગઈ હશે?સહેજ ચિંતા થતાં તેમણે પત્નીને બૂમ પાડી, અરે સાંભળે છે? દીકરી ક્યાં ગઈ? હજુ પાછી નથી આવી? પત્નીએ રસોડામાંથી બહાર આવતા કહ્યું, એ તો રમવા ગઈ છે, હમણાં આવશે. ફળિયામાં જ હશે. ન જાણે કેમ પણ પંકજભાઈને આજે ચેન ન પડ્યો. પત્નીના જવાબથી અસંતુષ્ઠ થયેલા પંકજભાઈ ઉભા થયા અને ફળિયામાં જઈને જોયું. ત્યાં દીકરી નહોતી. તેમણે બૂમો પાડવાનું શરૂ કર્યું, બેટા... એ બેટા... ક્યાં છે બેટા? કોઈ જવાબ ન મળ્યો. આડોશ-પડોશના ઘરોમાં તપાસ કરી પણ દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો, ના ભાઈ… તમારી દીકરી અહીં નથી આવી. પંકજભાઈના કપાળે પરસેવો વળી ગયો. સવારથી તહેવારનો આનંદ હતો પણ પળવારમાં ભયંકર ચિંતામાં ફેરવાઈ ગયો. તેઓ દીકરાને શોધવા માટે હવે ફળિયાથી થોડા આગળ વધ્યા. પંકજભાઈને દોડધામ કરતા જોઈને તેમના જ ગામમાં રહેતા એક ભાઈ તેમની પાસે આવી પહોંચ્યા. પંકજ, શું થયું? આટલો ચિંતામાં કેમ છે? તેમણે આવીને સવાલ કર્યો. પંજકભાઈએ હાંફતા-હાંફતા કહ્યું, ભાઈ.. મારી દીકરી ક્યાંય દેખાતી નથી. રમવાનું કહીને નીકળી હતી. આ ભાઈએ યાદ કરતા કહ્યું, અરે… તારી દીકરીને તો મેં હમણાં જ પેલા અર્જુન સાથે જોઈ હતી. એની સાથે દુકાન પાસે ઉભી હતી. અર્જુન ઉર્ફે દડો… આ નામ સાંભળતા જ પંકજભાઈના મનમાં ફાળ પડી. અર્જુનની છાપ ગામમાં સારી નહોતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેઓ ગામના ચારેક લોકો સાથે ઝપાટાભેર સીધા અર્જુનના ઘરે પહોંચ્યા. અર્જુનના ઘર પાસે જઈને પંકજભાઈએ જોરથી બૂમ પાડી, અર્જુન… અરે ઓ અર્જુન… બહાર નીકળ... ક્યાં છે તું? ઘરમાંથી કોઈ અવાજ ન આવ્યો. પંકજભાઈએ ધ્રૂજતા હાથે ઘરનો દરવાજો ધકેલ્યો અને અંદર જઈને બધે ફરી વળ્યા. ઘર ખાલી હતું. અર્જુન ઘરે હતો જ નહીં અને તેની સાથે દીકરીનો પણ ક્યાંય અતોપતો નહોતો. હવે પંકજભાઈની શંકા મક્કમ વિશ્વાસમાં બદલાઈ રહી હતી કે કંઈક અઘટિત બન્યું છે. ભયના વાદળો ઘેરાતા ગયા. સાત વર્ષની માસૂમ દીકરી ગામના જ એક શંકાસ્પદ માણસ સાથે ક્યાં ગઈ હશે? એ સલામત હશે કે કેમ? આવા ઘણા સવાલો મનમાં થવા લાગ્યા. થોડી જ વારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે પંકજભાઈની દીકરી ગુમ થઈ ગઈ છે. ગામના લોકો ભેગા થઈ ગયા હતા. સમય તો જાણે હાથમાંથી રેતી સરકતી હોય એમ સરકી રહ્યો હતો. ગામની તમામ શેરીઓ અને આસપાસના ખેતરોમાં લોકો ફરી વળ્યા. પણ દીકરી કે અર્જુન બેમાંથી કોઈ ન મળ્યું. આખરે થાકી ને પંકજભાઈ અને ગામના કેટલાક લોકો ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. બેસતુ વર્ષ હોવાથી પોલીસ સ્ટેશનમાં પણ કાંઈ ખાસ હલચલ ન હતી. પણ ટોળું પોલીસ સ્ટેશને પહોંચતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાંફતા-હાંફતા પંકજભાઈએ પોલીસકર્મીઓને આખો ઘટનાક્રમ જણાવ્યો. પોલીસ અધિકારીએ પંકજભાઈની આંખોમાં લાચારી અને ભય જોયો. કેસની ગંભીરતા સમજીને તુરંત જ વાયરલેસ સેટ પર મેસેજ વહેતો કર્યો, આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ માહિતી આપી અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. સવારે સુખના આશીર્વાદ સાથે ઉગેલો બેસતા વર્ષનો સૂર્ય હવે આથમવા લાગ્યો હતો. ગામના તમામ લોકોમાં હજુ પણ ઉચાટ હતો. ઘડિયાળમાં સાંજના 6 વાગ્યાનો સમય થયો હતો. પણ હજુ સુધી કોઈ એવા સમાચાર નહોતા મળ્યા કે એક લાચાર બાપની ચિંતા ઓછી થાય. શું આ ઘટના પાછળ અર્જુનનો જ હાથ હતો?કે પછી અન્ય કોઈએ ખાર રાખીને બાળકીને ટાર્ગેટ કરી?ધોળે દિવસે બાળકીનું અપહરણ થયું હશે કે પછી બીજું કાંઈ? વાંચો, આવતીકાલે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા અને અંતિમ ભાગમાં ચોંકાવનારો ખુલાસો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ચાર ધામ સાથે જોડાયેલા હતા. મંદિર સમિતિએ બિન-હિંદુઓને પ્રતિબંધિત કરવાની તૈયારી કરી છે. બીજા સમાચાર અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં અધિકારીના રાજીનામા સંબંધિત હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી સાંજે 4:30 વાગ્યે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC રેલીને સંબોધિત કરશે. 2. 5 વર્કિંગ ડેની માંગણીને લઈ દેશભરમાં બેંકોની હડતાળ રહેશે. કાલના મોટા સમાચારો 1. શંકરાચાર્યના અપમાનથી નારાજ બરેલી સિટી મેજિસ્ટ્રેટનું રાજીનામું:અધિકારીએ કહ્યું- ડીએમ આવાસમાં 20 મિનિટ બંધક બનાવવામાં આવ્યા, ગાળો આપી યુપીમાં બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ ગણતંત્ર દિવસ પર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનું કારણ UGCનો નવો કાયદો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોની મારપીટ જણાવ્યું છે. સોમવારે સાંજે લગભગ 7:30 વાગ્યે સિટી મેજિસ્ટ્રેટ ડીએમ અવિનાશ સિંહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. બહાર આવતા સિટી મેજિસ્ટ્રેટે કહ્યું- મને ડીએમ નિવાસસ્થાને 20 મિનિટ સુધી બંધક બનાવી રાખવામાં આવ્યો. ગાળો આપતા કહેવામાં આવ્યું કે આ પાગલ થઈ ગયો છે. આને અહીં જ બંધક બનાવી રાખો. મેં કેપ્ટનને પહેલા જ જણાવી દીધું હતું, જ્યારે તેમણે ફોન કર્યો, ત્યારે અમને જવા દેવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બદ્રીનાથ-કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી:ઉત્તરાખંડના 48 અન્ય મંદિરોમાં પણ જઈ શકશે નહીં; શીખ-બૌદ્ધ-જૈન પર કોઈ પ્રતિબંધ નથી ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત 50 મંદિરોમાં ટૂંક સમયમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC), ગંગોત્રી અને યમુનોત્રી ધામ મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર સરકારમાં સહમતિ બની ગઈ છે. આ પ્રતિબંધ શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પર લાગુ પડશે નહીં. ચારધામ ઉપરાંત મંદિર સમિતિઓના તાબા હેઠળ આવતા અન્ય 46 મંદિરો માટે પણ આવા જ પ્રસ્તાવો તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે, સીએમ પુષ્કર સિંહ ધામીએ આ મામલે તીર્થ પુરોહિતોની આસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની વાત કહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શું T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય?:દાવો- બાંગ્લાદેશના સમર્થનમાં ભારતની મેચનો બહિષ્કાર કરી શકે છે PCB પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે. પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં નહીં રમવાનો નિર્ણય લેવા જઈ રહ્યું છે. PCBના ચીફ મોહસિન નકવીએ સોમવારે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં પાકિસ્તાનના વર્લ્ડ કપમાં ભાગીદારી અને ભારત સામેની મેચ અંગે ચર્ચા થઈ. નકવીએ કહ્યું કે આગામી શુક્રવાર કે સોમવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચીનના જનરલ પર અમેરિકાને ન્યુક્લિયર સિક્રેટ વેચવાનો આરોપ:US અખબારનો દાવો; જિનપિંગ પછી સૌથી શક્તિશાળી અધિકારી હતા, પદ પરથી હટાવાયા ચીનમાં સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) ના વાઇસ ચેરમેન ઝાંગ યુક્સિયા વિરુદ્ધ તપાસ શરૂ થઈ ગઈ છે. અમેરિકન સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ, તેમના પર ચીનના પરમાણુ હથિયાર સંબંધિત ગુપ્ત માહિતી અમેરિકાને લીક કરવાનો આરોપ છે. ઝાંગને 24 જાન્યુઆરીએ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ચીની સંરક્ષણ મંત્રાલયે તેમના પર શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ઝાંગ પર CMCની અંદર પોતાની અલગ જૂથબંધી કરવા અને પાર્ટીમાં ભાગલા પાડવાનો પણ આરોપ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. વંદેમાતરમ ગીત દરમિયાન ઊભા રહેવું અનિવાર્ય હોઈ શકે છે:સરકાર પ્રોટોકોલ લાગુ કરવા પર વિચાર કરી રહી છે, નિર્ણય બાકી રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ માટે પણ તે જ રીતે ઊભા રહેવું ફરજિયાત બની શકે છે, જેમ કે હાલમાં રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ સમયે હોય છે. સરકારે વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂરા થવાના અવસરે રાષ્ટ્રીય ગીત માટે પણ પ્રોટોકોલ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. વંદે માતરમને 1950માં રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ગૃહ મંત્રાલય આ વાત પર ચર્ચા કરી રહ્યું છે કે શું ‘વંદે માતરમ’ પર પણ તે જ નિયમો અને કાયદાઓ લાગુ કરવામાં આવે, જે રાષ્ટ્રીય ગાન પર લાગુ પડે છે. જોકે, આ સંબંધમાં હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માયા આહિરના પુત્ર જયરાજને જેલમાં ઘરની પથારી-ખાવાનું યાદ આવ્યું:SITએ રિમાન્ડ ન માગતા કંઈક રંધાયાની ચર્ચા, જેલમાં વીતાવેલી પહેલી રાત કેવી રહી? ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસમાં ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની 24 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને 25મીએ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવા આદેશ કરવામાં આવ્યો હતો. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીટ દ્વારા આરોપી જયરાજ આહિરના રિમાન્ડની માંગ કરવામાં આવી ન હતી. તેમજ જયરાજ આહિર દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતુ કોર્ટે જામીન અરજી નકારી દીધી હતી. ત્યાર બાદ તેને ચૂસ્ત બંદોબસ્ત સાથે જેલ ભેગો કરવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પ્રદેશ ભાજપ બાદ શહેર-જિલ્લાના સંગઠનની જાહેરાત:આણંદ, દાહોદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરાયા બાદ હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા આજે સાંજથી અલગ અલગ જિલ્લા-શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. અન્ય શહેર જિલ્લા સંગઠનની જાહેરાત પણ રાત્રિ સુધીમાં થાય તેવી શક્યતા છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનના 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, અને 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. દાહોદ જિલ્લા ભાજપ સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને મંત્રી તરીકે 8 લોકોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હીની પરેડમાં બાજ, ઊંટનું આકર્ષણ:ગુજરાતના ટેબ્લોએ રંગ રાખ્યો; યુરોપીયન કાઉન્સિલના અધ્યક્ષ પરેડ જોઈને દંગ રહી ગયા, જુઓ PHOTOS વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં બરફના વાવાઝોડાથી 10 લાખ ઘરોમાં વીજળી ગુલ:13 લોકોના મોત, 18 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ, 20 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : તાજમહેલ પર હિંદુવાદીઓએ તિરંગો ફરકાવ્યો:મુખ્ય ગુંબજ પર ભારત માતાના જયકારા લગાવી રાષ્ટ્રગાન ગવાયું, VIDEO સામે આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : વેન્સના કારણે થઈ શકી નહીં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ:US સાંસદનો ઓડિયો રેકોર્ડિંગ લીક, ટ્રમ્પને પણ જવાબદાર ઠેરવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : શેરબજારમાં આ સપ્તાહે તેજીની આશા:1 ફેબ્રુઆરીએ બજેટ, ફેડ મીટિંગ અને ઓટો સેલ્સના આંકડા આવશે, આ પરિબળો નક્કી કરશે બજારની ચાલ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : તિલક વર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી ટળી:ટી-20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોમાં રમવું શક્ય, શ્રેયસ કિવીઓ સામેની બાકીની 2 મેચ રમશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ક્યારે છે ભીષ્મ એકાદશી?:મહા માસની અગિયારસ પર ભગવાન વિષ્ણુ સાથે તુલસી અને શ્રીકૃષ્ણની પૂજાનું વિધાન વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મહિલાએ ઊંઘમાં જ કરી લાખોની શોપિંગ એક બ્રિટિશ મહિલાએ ઊંઘમાં જ લાખો રૂપિયાની ઓનલાઈન શોપિંગ કરી નાખી. નિકોલા એડવર્ડ્સ લાંબા સમયથી 'સ્લીપ શોપિંગ' ડિસઓર્ડરથી પરેશાન છે. તેમણે ઊંઘમાં જ ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને એક સરળ પાસવર્ડને કારણે પેમેન્ટ પણ કર્યું. બાદમાં જ્યારે ઓર્ડર ઘરે આવ્યો ત્યારે આ વાતનો ખુલાસો થયો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: પાકિસ્તાનની સળી બાંગ્લાદેશને કેવી રીતે ભારે પડી, ભાઈ-ભાઈ કરીને કેમ આપ્યો દગો; શું છે T20 વર્લ્ડ કપનો નવો ડ્રામા 2. Editor's View: ટ્રમ્પનું ટ્રિગર તૈયાર: અમેરિકાના સૌથી વિધ્વંસક જહાજે ઇરાનને ઘેર્યું, ભારત પાસે ત્રણ વિકલ્પ, દુનિયા માથે વધુ એક ભયાવહ યુદ્ધનો ખતરો 3. ભૂકંપ @25 : કચ્છના વિનાશની એ દોઢ મિનિટ: ધ્રૂજારી આવી, કડાકો થયો અને ધરતી ફાટી, આખેઆખી બિલ્ડિંગો પેટાળમાં સમાઇ ગઇ, કાટમાળથી કાયાપલટ સુધીની દાસ્તાન 4. એક્સક્લૂસિવ : 'અમારાં ગામની હાલત જોઇ મોદીની આંખમાં પાણી આવ્યાં': મેં બાઇક પર બેસાડી સાહેબને ભુજ ફેરવ્યા, આફ્ટર શોક વચ્ચે મોદીજી બીજા માળે સૂતા, બે કચ્છી માડુની ભાવુક વાત 5. ડિજિટલ ડાકુ-1 : ‘પેટીએમના અધિકારી બનીને આવ્યા, ને 6 લાખનો ચૂનો લગાવી ગયા’: 500 લોકોને ટાર્ગેટ કરીને 3 કરોડ પડાવ્યા, પોલીસને આરોપીઓ સુધી પહોંચતા 3 મહિના લાગ્યા 6. મંડે મેગા સ્ટોરી : લોહિયાળ સરઘસથી પ્રજાસત્તાક દિવસની પરેડ સુધી: શા માટે થાય છે સૈન્ય અને હથિયારોનું પ્રદર્શન; યુરોપ-અમેરિકા હવે પરેડથી કેમ કતરાય છે? 7. 1857ના ગુમનામ શહીદો યુપી, બિહાર, બંગાળથી છે અજનાલાના 282 શહીદ: DNA અને દાંતથી ખુલાસો, તમિલનાડુ-કેનેડાથી પરિવાર સામે આવ્યા; સરકારો કેમ સૂતી છે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વૃષભ-મિથુન રાશિના જાતકો માટે ધનલાભના યોગ, કર્ક રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતા વાંચો સંપૂર્ણ રાશિફળ
સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નંબર 13માં 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ગૌરવભેર તિરંગો લહેરાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ગૌરવ સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને સલામી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ સભર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર સામૂહિક નૃત્ય અને એક પાત્રીય અભિનય જેવા કાર્યક્રમો રજૂ કરાયા હતા.કવિ બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપકોએ પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ પ્રજાસત્તાક દિવસનું મહત્વ અને બંધારણ વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આચાર્યએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમણે દેશસેવા માટે સદાય તત્પર રહેવું જોઈએ. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં JCB અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. સાઈ બજાર સામે પાર્કિંગ પ્રતિબંધિત વિસ્તારમાં JCB ઊભું રાખવામાં આવ્યું હતું, જેના કારણે આ ઘટના બની. અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેશભાઈ જાદવની માલિકીનું JCB (નંબર GJ 30 P 0728) ના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક સિંગલ લાઈટ આપ્યા વગર રોડ સાઈડ પરથી અચાનક મુખ્ય રસ્તા પર કાઢ્યું હતું. તે સમયે બાઈક ચાલક પોતાની જ સાઈટે સામેથી આવતા મહારાષ્ટ્ર પાસિંગ બાઈક (નંબર MH 15 FE 7061) પરથી પસાર થઈ રહેલા યોગેશભાઈ રાઉત રોન્ગ સાઈટ માં ઘસી આવનાર JCBની ચપેટમાં આવી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનામાં બાઈક સવાર યોગેશભાઈ રાઉતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ, યોગેશભાઈને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ, આહવા ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સાપુતારામાં ગેરકાયદેસર પાર્કિંગ અને ભારે વાહનોની બેદરકારીના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે. સાઈ બજાર સામેનો વિસ્તાર વળાંકવાળો હોવાથી અહીં વાહન પાર્ક કરવું જોખમી ગણાય છે. અગાઉ પણ પાર્કિંગ પ્રતિબંધ હોવા છતાં મોટા વાહનો બેફામ રીતે ઊભા રાખવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પાર્કિંગ મનાઈવાળા સ્થળે વળાંક પર JCB પાર્ક કરવા માટે કોણ જવાબદાર છે અને તંત્ર આવા બેદરકાર કૃત્યો સામે ક્યારે જાગૃત થશે. આ મામલે સાપુતારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. JCB ડ્રાઈવર સામે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધાય તેવી શક્યતા છે. સ્થાનિકોની માંગ છે કે આવા જોખમી સ્થળોએ ભારે વાહનોના પાર્કિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
આજે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ સમારોહ પ્રભારી મંત્રી દર્શના વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે ગૌરવભેર તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયાઓને પણ નમન કરીને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં ભવ્ય ગણતંત્ર દિવસ પરેડનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, વિવિધ દેશભક્તિથી પ્રેરિત કૃતિઓનું મનોહર પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌમાં દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. લોકશાહીના આ મહાન પર્વ પર સૌએ સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો. “વિકસિત ભારત–2047”ના લક્ષ્ય તરફ દૃઢપણે આગળ વધવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર સ્થિત મનસુખભાઈ દોશી લોકવિદ્યાલય સંચાલિત કે.કે. મંગલાયતન વિનય મંદિરમાં 26 જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી મ.દો.લોકવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી કરશનભાઈ એલ. પઢેરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ સંસ્થાના મંત્રી, સહમંત્રી, આચાર્ય, નિયામક અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મંત્રી ડો. નિખીલેશભાઈ દેસાઈ, સહમંત્રી ડો. જયશ્રી દેસાઈ તથા નિયામક બળદેવભાઈ દેસાઈએ સંસ્થાના તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.આ માહિતી શાળાના આચાર્ય ડો. જાતુષ જોશી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવી છે.
વિનામૂલ્યે નિદાન કેમ્પ:ગણપતિ ફાટસર ખાતે લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો
સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર, વઢવાણ ખાતે શ્રી રમાબાઈ પુસ્તકાલયના કમ્પાઉન્ડમાં વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દવા ઇન્ડિયા હેલ્થ માર્ટ લિમિટેડ અને મેટ્રોપોલીસ લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કેમ્પમાં સવારે 9 કલાકથી આરોગ્ય તપાસ શરૂ થઈ હતી. દવા ઇન્ડિયા હેલ્થ માર્ટ લિમિટેડ દ્વારા બીપી અને ડાયાબિટીસની મફત તપાસ કરવામાં આવી હતી, જ્યારે મેટ્રોપોલીસ લેબોરેટરી દ્વારા કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડની તપાસ વિનામૂલ્યે ઉપલબ્ધ હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. દવા ઇન્ડિયા હેલ્થ માર્ટ લિમિટેડના સ્ટોર મેનેજર રવિભાઈ ચાવડા, ફાર્માસિસ્ટ ઈફ્તાર શેખ અને મેટ્રોપોલીસ લેબોરેટરીના કિશનભાઈ સોલંકીએ આ આયોજનમાં સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર અને શિક્ષણ જેવા પ્રશ્નોને લઈ ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં 'અભ્યુદય મહાસંમેલન' સંમેલનનું આ્યોજન કરાયું છે. ઠાકોર સમાજના આગેવાનો અને લોકો રાત્રિના 3 વાગ્યાથી પરોઢ સુધી વિવિધ પ્રશ્નોને લઈ ચિંતન કરશે. અડાલજમાં બનનારા શ્રી સરસ્વતી ધામ (શિક્ષણનું શાશ્વત મંદિર)નું પણ ભૂમિપૂજન કરાશે. રામકથા મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ હોય વિશાળ બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. અભ્યુદય મહાસંમેલનનો મુખ્ય હેતુઠાકોર સમાજમાં રહેલી વિવિધ બદીઓને દૂર કરવા માટે 10 વર્ષ પહેલા 2016માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને આજે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 10 વર્ષમાં નોંધપાત્ર સુધાર લાવવામાં સફળતા મળી હોવાનો ઠાકોર સેના દ્વારા દાવો કરાયો છે. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, સ્વાભિમાન અને વ્યસન મુક્તિના મક્કમ ઈરાદા સાથે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આજના કાર્યક્રમ દરમિયાન અડાલજમાં બનનાર શ્રી સરસ્વતી ધામ પ્રોજેક્ટની જાહેરાત અને ભૂમિપૂજન પણ કરાશે. કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતું હોવાનો અલ્પેશ ઠાકોરને ઈન્કારઅલ્પેશ ઠાકોરને જ્યારે આ કાર્યક્રમને લઈ સવાલ કરાયો ત્યારે તેને આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતું હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. અલગ અલગ સમાજ જે રીતે સંમેલન બોલાવતા હોય છે તે રીતે જ આ ઠાકોર સમાજ દ્વારા બાલાવવામાં આવેલું સંમેલન છે. જેમાં 7000 ગામમાંથી સ્વંયસેવકો, વોલન્ટીયર સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
બોરસદ તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કિંખલોડ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે બોરસદના મામલતદાર મયૂરભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.મામલતદાર મયૂરભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન આપી સૌને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ ગીત, સ્વાગત ગીત અને પ્રસંગોચિત વક્તવ્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025માં સરકારી કચેરીઓના વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પુરવઠા નાયબ મામલતદાર સંજયભાઈ પ્રજાપતિ તેમજ SIR 2026માં ઉત્તમ કામગીરી માટે પ્રાંત કચેરીના કલાર્ક રશ્મિબેન પરમાર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લાના જાળીલાં ગામે આવેલી કે.જી. સુતરિયા પ્રાથમિક શાળા (પે.સે.)માં 'સ્કૂલ ઓફ એક્સેલન્સ' યોજના હેઠળ નિર્મિત નવી ભૌતિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બોટાદના પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના હસ્તે આ ગૌરવશાળી કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંદાજિત 1.92 કરોડના ખર્ચે 12 નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે 23 લાખના ખર્ચે 6 જૂના વર્ગખંડોનું રિપેરિંગ કામ કરાયું છે. આમ, કુલ 2.15 કરોડના ખર્ચે શૈક્ષણિક સુવિધાઓના કામો પૂર્ણ કરી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણની સાથે ઉત્તમ ભૌતિક સુવિધાઓ હોવી અત્યંત અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા મક્કમ પગલાંઓ અને નવીન યોજનાઓને કારણે હવે ગ્રામ્ય વિસ્તારોના બાળકોને પણ શહેર જેવી જ આધુનિક તકો અને સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ, 1991ના રોજ સ્થાપિત આ કે.જી. સુતરિયા પે.સે. શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીની શિક્ષણ સુવિધા છે. હાલમાં આ શાળામાં કુલ 649 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 299 કુમાર અને 350 કન્યાઓનો સમાવેશ થાય છે. શાળામાં 16 શિક્ષકો અને 1 જ્ઞાન સહાયક સહિત કુલ 18 સ્ટાફના સભ્યો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે કાર્યરત છે. 'સ્કૂલ ઓફ એક્સેલન્સ' યોજના અંતર્ગત નિર્મિત 12 નવા વર્ગખંડો બાદ હવે શાળામાં કુલ 20 વર્ગખંડો ઉપલબ્ધ થયા છે, જેમાંથી 2 વર્ગખંડોનું નિર્માણ ઉદાર દાતાઓના આર્થિક સહયોગથી થયું છે. પ્રભારી મંત્રીએ શાળાની શૈક્ષણિક સિદ્ધિઓને વિશેષ રૂપે બિરદાવી હતી. તેમણે ગૌરવ સાથે નોંધ્યું હતું કે, NMMSમાં 8, CETમાં 19 તથા CGMSમાં 20 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવી ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ઊંચું લાવ્યું છે. આ ઉપરાંત ખેલ મહાકુંભ અને કલા મહાકુંભમાં પણ વિદ્યાર્થીઓના જિલ્લા સ્તરના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે રિવાબા જાડેજાએ દાતાઓના યોગદાનની પણ સરાહના કરી હતી, જેમના સહકારથી શાળાનો ભવ્ય ગેટ, કંપાઉન્ડ વોલ, કોમ્પ્યુટર રૂમ અને લાઈબ્રેરી જેવી જરૂરિયાતો પૂર્ણ થઈ છે. તેમણે વિદ્યાર્થીઓને એકચિત્તે અભ્યાસ કરવા, વાલીઓને બાળકોના શિક્ષણમાં રસ લેવા અને શિક્ષકોને સમર્પણ ભાવથી કાર્ય કરવા પ્રેરણા આપી હતી.
ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકર સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કંપનીના સેલ્સ મેનેજર સહિત અન્ય 3 શખસો દ્વારા ખોટી કિંમત દર્શાવી માલ વેચાણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે આ બનાવમાં મુંબઈના રહેવાસી એક આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. અલંગ મરીન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં શિપબ્રેકર સંજયભાઈ પ્રતાપરાય મેહતાએ તા. 25 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી કંપનીના સેલ્સ મેનેજર હકાભાઈ વાજા તથા રૂવાબઅલી સુવાલે શેખે કંપનીમાં રહેલા ક્રેઇન વજન 12.756 ટન તથા 9.56 ટન, જે એક કિલોની કિ.રૂ. 52:55 ના ભાવથી કુલ રૂ. 11,71,296 માં મુન્નાભાઈ ભગવાનભાઈ દિહોરા રહે. ત્રાપજ ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલવાળા પાસે ખરીદ કરાવી, મુન્નાભાઇ દિહોરાએ તેની અલંગ આયર્ન એન્ડ સ્ટીલ નામની કંપનીમાં આ માલ રૂ. 105 માં ખરીદી, રાકેશ રાજીવ રંજન, મુંબઇના રહેવાસી, હસ્તક રૂ. 165 ના ભાવથી મુંબઈ ખાતેની કંપનીને વેચાણ કરાવ્યું હતું. અંદાજે એકાદ માસમાં, ફરિયાદીની કંપનીમાં સેલ્સ મેનેજર હકાભાઈ વાજા તથા રૂવાબઅલી સુવાલે શેખે અમારી કંપનીમાં રહેલ કેબલમાં ખરેખર 5 કિલોએ એક કિલો કોપર નીકળે, તેના બદલે 8 કિલો કેબલમાં 1 કિલો કોપર દર્શાવી, માલ ઓછી ગુણવત્તાવાળો દર્શાવી કેબલ વજન 18 ટન, કિ.રૂ. 80 ના ભાવથી રૂવાબઅલી શેખ પાસે ખરીદ કરાવી. બંનેએ આર્થિક લાભ મેળવ્યો. આમ, કંપની સાથે સેલ્સ મેનેજર હકુભાઈ વાજા, રુવાબઅલી સુવાલે શેખ, મુન્નાભાઈ દિહોરા અને મુંબઈનો રહેવાસી રાકેશ રાજીવ રંજન તમામ માણસોએ મેળાપીપણું કરી, પૂર્વઆયોજીત ગુનાહિત કાવતરું રચી, ખરેખર માલની કિંમત કરતાં ઓછી કિંમતે માલ ખરીદ-વેચાણ કરી, કરાવી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યા અંગેની અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આ બનાવ અંગે અલંગ મરીન પોલિસ મથકમાં તા. 25 જાન્યુઆરીના રોજ, સેલ્સ મેનેજર સહિત 4 ઈસમો વિરુદ્ધ BNS 316(2), 318(4), 61(2), 54 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે (સેલ્સ મેનેજર) હકાભાઈ બચુભાઈ વાજા, રૂવાબઅલી સુવાલે શેખ, મુન્નાભાઈ ભગવાનભાઈ દિહોરાને ઝડપી પાડ્યા હતા. તા. 26 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા, જ્યાં મહુવા કોર્ટે ઝડપાયેલ 3 આરોપીના દિવસ 1 ના રિમાન્ડ તા. 27 જાન્યુઆરી બપોરે 1 વાગ્યા સુધીના મંજુર કર્યા હતા, જ્યારે આ બનાવમાં મુંબઈનો રહેવાસી રાકેશ રાજીવ રંજનને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
પ્રજાસત્તાક દિનની ઉજવણી:મોડાસાની વી.એસ. શાહ શાળામાં સમાજસેવક ઈશ્વર ભાવસારના હસ્તે ધ્વજવંદન કરાયું
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં 70 વર્ષથી શૈક્ષણિક સેવા આપતી સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત શ્રી વી.એસ. શાહ પ્રાથમિક શાળા (ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ) ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજસેવક ઈશ્વર ભાવસારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કાર્યક્રમમાં સરસ્વતી બાલમંદિર મંડળના પ્રમુખ નિલેશ જોશી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોડાસાના શ્રેષ્ઠીઓ, મંડળના હોદ્દેદારો, શાળા સ્ટાફ, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમના ગીતો રજૂ કર્યા હતા. તેમણે ભારતના બંધારણનું મહત્વ સમજાવતા વક્તવ્યો જુદી જુદી ભાષાઓમાં રજૂ કર્યા હતા. જાયન્ટ્સ મોડાસા તથા સૈયર મોડાસાના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રમુખ નિલેશ જોશીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “ભારત દેશનું બંધારણ આપણું ભગવદગીતા અને કુરાન જેવા ધાર્મિક ગ્રંથો જેટલું જ પવિત્ર છે, જે દેશવાસીઓને સાચા અને શ્રેષ્ઠ માર્ગે દોરવાનું કાર્ય કરે છે.” સમગ્ર કાર્યક્રમમાં જાયન્ટ્સના પ્રમુખ મંત્રી વિનોદ ભાવસાર, પ્રવીણ પરમાર, સૈયર પ્રમુખ શર્મિષ્ઠાબેન દરજી, આચાર્ય સુનિલ પટેલ, મંત્રી નવનીત પરીખ, નાનાલાલ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક દિનની ઉજવણી:મોડાસા નગરપાલિકામાં પ્રમુખ નિરજભાઈ શેઠે ધ્વજવંદન કર્યું
મોડાસા નગરપાલિકા ખાતે 26 જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી નિરજભાઈ શેઠ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં નગરપાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક દિનની ઉજવણી:ઉમા કેળવણી મંડળ દ્વારા એચ.એલ. પટેલ સરસ્વતી સ્કૂલમાં ધ્વજવંદન કરાયું
ઉમા કેળવણી મંડળ સંચાલિત એચ.એલ. પટેલ સરસ્વતી સ્કૂલના પ્રાંગણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.શાળામાં વર્ષ દરમિયાન જ્ઞાન માટી પરીક્ષા, ખેલકૂદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ ડો. હરિભાઈ પટેલે પ્રવચન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, મહેમાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં 970 લિટર ડીઝલની ચોરી:બે આરોપી ઝડપાયા, સમા ગેંગનો એક ફરાર
મોરબી તાલુકાના ગાળા અને બાદરગઢ ગામ નજીકથી ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરી કરેલું ડીઝલ અને તેના વેચાણથી મળેલા રૂપિયા સહિત કુલ 63,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા એક અન્ય આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીની ઘટના મોરબી-માળિયા હાઈવે પર ગાળા અને બહાદુરગઢ ગામના પાટિયા પાસે રાત્રિના સમયે બની હતી. સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ વાહનોની ડીઝલ ટેન્ક તોડીને ડીઝલની ચોરી કરી હતી. કુલ 970 લિટર ડીઝલની ચોરી થઈ હતી, જેના પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરી કરાયેલા ડીઝલ પૈકી 175 લિટર ડીઝલ (કિંમત રૂ. 15,750) અને ડીઝલ વેચીને મેળવેલા રૂ. 47,500 રોકડા મળી કુલ રૂ. 63,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પકડેલા આરોપીઓમાં ચોરી કરનાર અયુબ મલુક સમા (રહે. નાના દીનારા, તા. ભુજ) અને ચોરીનું ડીઝલ ખરીદનાર પ્રદીપભાઈ અમુભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં અસલમ ઉર્ફે અનવર કમાલ સમા (રહે. કોટડા, તા. ભુજ)નું નામ પણ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ હાઈવે રોડ પર અને પાર્કિંગમાં ઉભેલા વાહનોને નિશાન બનાવી, તેમની ડીઝલ ટેન્કના ઢાંકણાના લોક તોડીને ડીઝલ ચોરી કરતા હતા. પકડાયેલા આરોપી અયુબ સમા વિરુદ્ધ ભુજ, નલિયા, ભચાઉ, પધર અને માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 13 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે હાલ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
હિંમતનગર શહેરમાં જીવરક્ષા સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટના રખડતા શ્વાનોને શેલ્ટર હાઉસમાં રાખવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન સંવિધાન દિવસ નિમિત્તે સજીવોને અધિકાર આપવાની માંગ સાથે શપથવિધિ પણ કરવામાં આવી હતી. સાબરકાંઠા જીવરક્ષા સમિતિ દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે સોમવારે સાંજે આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. સમિતિ સુપ્રીમ કોર્ટના 18 નવેમ્બરના જાહેર રસ્તાઓ પરના શ્વાનોને શેલ્ટર હાઉસમાં રાખવાના નિર્ણયનો વિરોધ કરી રહી છે. 26 જાન્યુઆરી, સંવિધાન દિવસના રોજ, સજીવોને બંધારણીય અધિકાર આપવાની માંગ સાથે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ જીવરક્ષા સમિતિ દ્વારા 4 જાન્યુઆરીના રોજ ડુ ઓર ડાઇ કાર્યક્રમ અને 18 જાન્યુઆરીએ દેશભરમાં અખંડ જ્યોત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હિંમતનગર જીવરક્ષા સમિતિએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો જેલભરો આંદોલનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
ધનસુરાના આકરુંદ ગામે 4.5 લાખની ચોરી:બંને તસ્કરો CCTVમાં કેદ, પોલીસે તપાસ શરૂ કરી
ધનસુરાના આકરુંદ ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રૂ. 4.5 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ગત રાત્રિ દરમિયાન આકરુંદ ગામમાં ભીખાભાઈ ભોઈના બે માળના મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ નીચેના માળે મકાનનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ તિજોરીનું લોક તોડી તેમાંથી સોનાની બુટ્ટી, વાળા, ચેઈન, નાકની ચૂની સહિત કુલ રૂ. 4.5 લાખનો સોના-ચાંદીનો મુદ્દામાલ ચોરી લીધો હતો. ચોરીની આ સમગ્ર ઘટનાના બહારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કરો મકાનમાંથી ચોરી કરીને બહાર આવી રહ્યા છે અને એક તસ્કર બહાર ઊભો રહીને વોચ રાખી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થળ સ્થિતિનું પંચનામું કરી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
77મા ગણતંત્ર પર્વે સોમનાથ મહાદેવનો ત્રિરંગો શૃંગાર:આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અદભુત સંગમ
પ્રભાસપાટણ સ્થિત દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે સોમનાથ મહાદેવને સફેદ, કેસરી અને લીલા ફૂલોથી ત્રિરંગો દિવ્ય શૃંગાર અર્પણ કરાયો હતો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. સવારથી જ મંદિર પરિસરમાં ભાવિકોની મોટી ભીડ જોવા મળી હતી. ત્રિરંગા શૃંગાર સાથે વિશેષ આરતીનું આયોજન કરાયું હતું. આ દરમિયાન “વંદે માતરમ્”, “જય હિન્દ” અને “હર હર મહાદેવ”ના જયઘોષથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. ભક્તોએ દીપ પ્રગટાવી આરતીમાં ભાગ લીધો અને રાષ્ટ્રની સમૃદ્ધિ, એકતા તથા શાંતિ માટે પ્રાર્થના કરી. ગણતંત્ર દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવનો ત્રિરંગો શૃંગાર માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહેતા, તે રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બન્યો હતો. ભારતના ત્રિરંગાના રંગોમાં સજાયેલા મહાદેવના દર્શન કરીને ભાવિકોના ચહેરા પર ગૌરવ અને ઉત્સાહ જોવા મળ્યો. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં દેશભક્તિના ગીતો, ધ્વજવંદન અને ભક્તિભાવનો માહોલ છવાયો હતો. સ્થાનિક લોકો ઉપરાંત દેશભરમાંથી આવેલા યાત્રિકોએ આ અવસરને યાદગાર બનાવ્યો. કેટલાક ભાવિકોએ જણાવ્યું કે, સોમનાથ મહાદેવના ત્રિરંગા શૃંગારના દર્શનથી મનમાં દેશપ્રેમ અને આધ્યાત્મિક શક્તિ બંને એકસાથે અનુભવાય છે. આમ, 77મા ગણતંત્ર પર્વે સોમનાથ ધામમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો, જે દરેક દર્શનાર્થી માટે ગૌરવ અને શ્રદ્ધાનો વિષય બન્યો.
ધરમપુર સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ:આરોપી મુંબઈથી ઝડપાયો, પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવ્યા
વલસાડ જિલ્લાના ધરમપુરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે અપહરણની ફરિયાદમાં પોક્સો કલમનો ઉમેરો કર્યો છે. ગત 19 જાન્યુઆરીના રોજ ધરમપુરના એક ગામમાંથી આદિવાસી સમાજની સગીરા ગુમ થઈ હતી. સગીરાના પિતાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે વિધર્મી યુવક તેમની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો છે. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB, વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પારડી પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે સગીરા આરોપી સાથે વલસાડ રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં સવાર થઈ હતી. આ માહિતીના આધારે વલસાડ પોલીસની ટીમે મુંબઈના વિવિધ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરી હતી. અંતે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના સહયોગથી પોલીસે આરોપી અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ ઓસમાન બિન મહમૂદ પાઠણ (ઉંમર 27 વર્ષ) તરીકે થઈ છે, જે અતુલ કંપનીમાં ફિટર મિકેનિક તરીકે કામ કરે છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી અને સગીરા સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) મારફતે સંપર્કમાં આવ્યા હતા. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો એક્ટ (POCSO) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરા અને આરોપીનું મેડિકલ કરાવી બંનેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. સગીરાની પ્રાથમિક પૂછપરછમાં વિધર્મી યુવકે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. વલસાડ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ગણદેવીમાં પતંગની દોરીથી સુરતના 25 વર્ષીય યુવકનું ગળું ચિરાયું:ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
નવસારી જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર બાદ પણ પતંગની દોરીથી અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ગણદેવી સુગર ફેક્ટરી સામેના જાહેર રોડ પરથી પસાર થઈ રહેલા સુરતના એક યુવકના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ યુવકને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના રવિવારે સાંજના સમયે બની હતી. સુરતના સચિન પાલી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય રીતેશભાઈ બર્મશ્વર શ્રીવાસ્તવ પોતાની મોટરસાયકલ પર ગણદેવી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ગણદેવી સુગર ફેક્ટરી ચાર રસ્તા પાસે અચાનક તેમના ગળામાં પતંગની ધારદાર દોરી આવી ગઈ હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર ફસડાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા, ઇજાગ્રસ્ત રીતેશને તાત્કાલિક ચીખલીની સ્પંદન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર નિરજભાઈ મેહતાની દેખરેખ હેઠળ તેની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ દર્દી ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાર્યપાલક મેજિસ્ટ્રેટ (ચીખલી) દ્વારા ડાઈંગ ડેકલેરેશન (ડી.ડી.) લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગણદેવી ટાઉન ચોકીના અ.હે.કો. ભાવિનકુમાર જયંતીલાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બરડા સેન્ચ્યુરીમાં પ્રજાસત્તાક પર્વે સિંહ દર્શન:પ્રવાસીઓએ 9 સિંહોના લાઈવ દર્શનનો લ્હાવો લીધો
પોરબંદર: ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના પ્રજાસત્તાક પર્વના દિવસે પોરબંદર નજીક આવેલી બરડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી (બરડા અભયારણ્ય) ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ કુદરતી વાતાવરણમાં સિંહ સહિતના વન્યજીવોના દર્શન કર્યા હતા. અભયારણ્યની મુલાકાતે આવેલા પ્રવાસીઓને 9 જેટલા સિંહોના જીવંત દર્શન થયા હતા, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સિંહો ઉપરાંત, પ્રવાસીઓએ નીલગાય અને મગર જેવા અન્ય વન્ય પ્રાણીઓ પણ નજીકથી નિહાળ્યા હતા. પ્રવાસીઓએ આ વન્ય વારસાને જાળવવા બદલ વન વિભાગ અને બરડા સેન્ચ્યુરીના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો માટે પણ આ મુલાકાત શૈક્ષણિક અને આનંદદાયક રહી હતી.
ચંદ્રુમાણા ગામે પ્રજાસત્તાક દિન નિમિત્તે 'ધરતી માતા બચાવો અભિયાન' અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગ્રામકક્ષાની નિગરાની સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સભામાં રાસાયણિક ખાતરના વપરાશ પર દેખરેખ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામસેવક વિપુલભાઈ સોલંકીએ સોઇલ હેલ્થ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ ડીએપી, યુરિયા અને પોટાશના અતિશય વપરાશ સામે નિયંત્રણ લાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ગ્રામસભામાં તલાટી ભરતભાઈ આર. ઠાકોર, ગ્રામસેવક વિપુલ એલ. સોલંકી, કૃષિ સખી ધર્મિષ્ઠાબેન વ્યાસ, આત્મા પ્રગતિશીલ ખેડૂત બ્રિજેશભાઈ વ્યાસ સહિત વિઠ્ઠલભાઈ પટેલ, ગોવિંદભાઈ વ્યાસ, મુકેશભાઈ વ્યાસ, દિનેશભાઈ વ્યાસ, બળવંતસિંહ પરમાર, બળદેવભાઈ દેસાઈ અને બાબુભાઈ પટેલ જેવા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
તપોધન બ્રહ્મસમાજની સમૂહલગ્ન કારોબારી મળી:બેચરાજીમાં યોજાનાર મહોત્સવના આયોજન અંગે ચર્ચા થઈ
શ્રી ચુંવાળ વઢીયાર ઝાલાવાડ નળકાંઠા તપોધન બ્રાહ્મણ સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ આગામી 13 ફેબ્રુઆરીના રોજ બેચરાજી ખાતે યોજાનાર છે. આ મહોત્સવના આયોજન માટે સોમવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજના વિવિધ વિસ્તારોમાંથી હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કરાયેલ જ્ઞાતિ સંપર્ક અને દાન ભેટ અંગેની જાણકારી રજૂ કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ પ્રદ્યુમનભાઈ રાવલ, મેનેજિંગ ટ્રસ્ટી ગૌતમભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ રાવલ, પૂર્વ પ્રમુખો વ્રજલાલ રાવલ અને રમેશભાઈ રાવલ, મંત્રી સુરેશભાઈ રાવલ, ઉપપ્રમુખ સુર્યકાંત રાવલ, કોષાધ્યક્ષ મહેશભાઈ ઠાકર, યુવા પ્રમુખ વિજય રાવલ, આંતરિક ઓડિટર જીતુભાઈ રાવલ, કારોબારી સભ્યો હર્ષદભાઈ સાંઈરામ, શિક્ષણ કન્વીનર સુરેશભાઈ ધોળકા, ગુણવંતભાઈ રાવલ, કિશનભાઇ રાવલ, જનકભાઇ રાવલ, સહમંત્રી દિલીપ રાવલ અને જયેશભાઈ રાવલ સહિત અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રતિનિધિઓ દ્વારા પત્રિકામાં નામ, ભોજન પાસ અને પત્રિકા વિતરણ સહિત અન્ય બાબતો અંગે સૂચનો કરાયા હતા. જેમાં દાતાઓને આભાર પત્ર આપવાનું સૂચન સર્વાનુમતે માન્ય રાખવામાં આવ્યું હતું. વધુમાં, લગ્નપત્રિકાઓ જ્ઞાતિના દરેક પરિવારોને ઘરે ઘર મોકલી આપવાનું પણ નક્કી કરાયું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા સ્થિત ગૌરી વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષક રમેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ઉજવણી દરમિયાન ગ્રામ વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, સલાહકાર સમિતિના ભરતભાઈ રાવલ અને આચાર્ય સતિષભાઈ જાદવ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. તેમણે સ્વાતંત્ર્ય પર્વ, ગણતંત્ર દિવસ અને બંધારણના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવારના શિક્ષકો મહેશભાઈ વ્યાસ અને ભરતભાઈ પટેલ સહિત બાળકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
કલ્યાણપુર પંથકમાં શેરબજારમાં કરોડો રૂપિયાના નફાની લાલચ આપીને એક વ્યક્તિ સાથે 41 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઇન્દોર ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના એક રહેવાસીને શેરબજારમાં રોકાણ કરીને 100% નફો મેળવી આપવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે એક ચોક્કસ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં કરોડો રૂપિયાનો ખોટો નફો દર્શાવીને કુલ 41,07,998 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ થોડા સમય પૂર્વે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયો હતો. બેનામી વેબસાઇટના માલિક અને ગુનામાં વપરાયેલા બેંક ખાતાધારક સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અને ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પી.આઇ. વી.કે. કોઠીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, આ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા છત્તીસગઢના મૂળ રહેવાસી અને હાલ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા દિલીપ માખનલાલ કેવટ અને ઇન્દોરના અમિત સુનિલ પ્રજાપતને પોલીસે ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પી.આઇ. વી.કે. કોઠીયા, એસ.વી. કાંબલીયા, હેભાભાઈ ચાવડા, સાજણભાઈ, રાજુભાઈ, અજયભાઈ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આર્થિક રોકાણ અને શેર ટ્રેડિંગ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવતી લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જાહેર જનતાને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે શેર ટ્રેડિંગ માટે સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત એપ્લિકેશન અને બ્રોકરનો જ ભરોસો કરવો જોઈએ. આવા સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓએ તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
મેઢાસણ-1 પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દેશભક્તિ અને ગૌરવભર્યો માહોલ જોવા મળ્યો હતો.ગામની દીકરી અને એમ.એસ. ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી નિષ્ણાત ડૉ. પ્રેક્ષા કુંવર જોદ્ધાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ આ કાર્યક્રમોને બિરદાવ્યા હતા.ડૉ. પ્રેક્ષા કુંવર જોદ્ધાએ બાળકોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે કંપાસ બોક્સનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું ફૂલછડી દ્વારા સ્વાગત કરાયું હતું. શાળા પરિવાર અને એસ.એમ.સી. પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોડાસાના માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના ઉત્સાહ સાથે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય દિલીપભાઈ અને શિક્ષિકા મીનાક્ષીબેને ઉપસ્થિત મહેમાનો, SMC સભ્યો અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવીને કરી હતી. આ પ્રસંગે ગામની દીકરી મકવાણા જાનવીબેનના હસ્તે ગૌરવપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું. પૂર્વ સરપંચ જસવંતસિંહ અને આર્મીમાંથી નિવૃત્ત કાળુસિંહ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. બાળકોએ વિવિધ દેશભક્તિ ગીતો પર મનમોહક નૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. નૃત્યની તૈયારી દરજી નીલમબહેન, તેમજ કાળુસિંહ, અલ્પેશભાઈ અને મયંકભાઈ દ્વારા કરાવવામાં આવી હતી. SMC સભ્ય મકવાણા દશરથસિંહે પ્રેરક પ્રવચન આપી બાળકોમાં દેશપ્રેમ, શિસ્ત અને જીવનમૂલ્યો અંગે પ્રેરણા આપી. કાર્યક્રમના અંતે આચાર્ય દિલીપભાઈ દ્વારા તમામ બાળકોને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. રામદેવ મોબાઈલ સ્ટોર અને ગ્રામજનો દ્વારા બાળકોને દાન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, એકતા અને આનંદના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
મોડાસા તાલુકાની શ્રી પી.એમ. કોઠારી ટીંટોઇ હાઈસ્કૂલમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.આ ઉજવણીમાં 'દીકરીને પ્રણામ, દેશને નામ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત ગામની ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરી ક્રિષા જિતેન્દ્રકુમાર ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. સમગ્ર પ્રાંગણ 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતો પ્રસ્તુત કરી હતી. આ પ્રદર્શનોએ ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય અને સંચાલક મંડળના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ ઉજવણી દ્વારા કન્યા કેળવણી અને દીકરીના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો, જે ભારત સરકારના 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને વેગ આપવાના હેતુથી સુસંગત હતો.
મોડાસા તાલુકાની ગાજણ–4 પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ઉજવણી દરમિયાન 'દીકરીને પ્રણામ, દેશને નામ' સંદેશ સાથે કન્યા કેળવણી અને દીકરી સન્માન પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારના 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને પ્રોત્સાહન આપવા અને દીકરીઓને શિક્ષણમાં આગળ વધારવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ગામની ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરી ધનક પરમારના હસ્તે ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાલવાટિકાથી ધોરણ–8 સુધીના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓના શિસ્તબદ્ધ પ્રદર્શને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ સંકલન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં NCC અને NSSના વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ પરેડ તેમજ વિવિધ દેશભક્તિના ગીતોથી કોલેજ કેમ્પસ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે કોલેજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહના હસ્તે ત્રિરંગાનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન થતાં જ સમગ્ર કોલેજ પરિસર “જય હિંદ” અને “વંદે માતરમ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જે દેશપ્રેમની ભાવનાને પ્રબળ બનાવતું હતું. ધ્વજવંદન બાદ NCC અને NSSના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની દેશપ્રેમ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શિસ્તને ઉપસ્થિત મહેમાનો અને પ્રાધ્યાપકો દ્વારા બિરદાવવામાં આવી હતી.વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, સમૂહ ગાન અને સંવેદનશીલ રજૂઆતો રજૂ કરી હતી. આ રજૂઆતો દ્વારા ભારતની એકતા, બંધારણના મૂલ્યો અને લોકશાહીના મહત્ત્વનો સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ ગૌરવમય કાર્યક્રમમાં મંડળના પૂર્વ પ્રમુખો, ટ્રસ્ટીઓ, માનદમંત્રીઓ, વિવિધ કોલેજોના આચાર્યો, શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ, NCC-NSSના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, એકતા અને જવાબદારીની ભાવના સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થઈ હતી. આ ઉજવણીએ શિક્ષણ સંસ્થાઓ માત્ર અભ્યાસનું કેન્દ્ર નથી પરંતુ દેશભક્ત અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાની પવિત્ર ભૂમિકા પણ ભજવે છે તે વાતને પુષ્ટિ આપી હતી. 77મા પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી સ્મરણીય બની રહી હતી અને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની નવી ચેતના પ્રેરિત કરી હતી.
ભેરૂન્ડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એચ. જે. બારોટ માધ્યમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીકરીને પ્રણામ, દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરી ચૌધરી સિદ્ધિના હસ્તે ધ્વજારોહણ કરાયું. આ ઉજવણી કન્યા સશક્તિકરણ અને કન્યા કેળવણીના સંદેશ સાથે પ્રેરણાદાયક બની રહી. ભારત સરકારના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને વેગ આપવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે મુખ્ય ઉદ્દેશ હતો. આ પ્રસંગે ભેરૂન્ડા કેળવણી મંડળના પ્રમુખ રાજેન્દ્રકુમાર પટેલ, મંત્રી ચીમનભાઈ પટેલ અને શાળાના આચાર્ય મેહુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌને 77મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત તથા શિક્ષણના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, ઉર્જાસભર નારા અને પ્રેરક રજૂઆતો દ્વારા સમગ્ર શાળા પ્રાંગણને ગુંજવી દીધું હતું.ત્રિરંગાની છાયા નીચે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રગટી.
સુરત શહેરના સીમાડા વિસ્તારમાં આજે એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સીમાડા BRTS રોડ પર આવેલા બાપાસીતારામ ચોક નજીકથી પસાર થઈ રહેલો એક 'છોટા હાથી' ટેમ્પો ચાલુ રાહે અચાનક સળગી ઉઠ્યો હતો. જોકે, ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મળતી માહિતી મુજબ, ટેમ્પો જ્યારે રોડ પર દોડી રહ્યો હતો ત્યારે અચાનક તેના આગળના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. પરિસ્થિતિ પારખી ગયેલા ડ્રાઈવરે તાત્કાલિક ટેમ્પો રસ્તાની વચ્ચે જ ઉભો રાખી દીધો હતો અને સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો. BRTS બસોને થંભાવી દેવામાં આવી આ ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેમ્પોને સળગતો જોઈ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આગ બરાબર BRTS રેલિંગ પાસે લાગી હોવાથી સુરક્ષાના કારણોસર BRTS બસોને થંભાવી દેવામાં આવી હતી. મુખ્ય માર્ગ પર આગની ઘટનાને કારણે અડધા કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ઓલવાયા બાદ તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટંકારામાં સગી દીકરી પર દુષ્કર્મ:પોલીસે આરોપી પિતાને પકડી જેલ હવાલે કર્યો
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર દીકરી પર તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે દીકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે તાત્કાલિક આરોપી પિતાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે 14 વર્ષની સગીરા રાત્રે તેની માતા પાસે સૂતી હતી. તે સમયે આરોપી પિતાએ સગીરાને નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ ચીસ પાડતા તેની માતા જાગી ગઈ હતી. આ જોઈ આરોપી પિતા ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ટંકારા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર-25માં આવેલા જાણીતા ડી-માર્ટ સ્ટોરમાં ગઈકાલે(25 જાન્યુઆરીએ) સાંજે ચોરીનો એક ચોંકાવનારો પ્રયાસ પ્રકાશમાં આવ્યો છે. સ્ટોરમાંથી ઘરવખરીનો સામાન ટ્રોલીમાં ભરી કેશ કાઉન્ટર પર બિલ ચૂકવ્યા વગર જ ભાગી છૂટવાની ફિરાકમાં રહેલા એક શખ્સને સ્ટોરના સ્ટાફે ગેટ પાસે જ ઝડપી પાડ્યો હતો. આ અંગે સ્ટોરના આસિસ્ટન્ટ મેનેજરે પેથાપુરના શખ્સ વિરુદ્ધ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટ્રોલીમાં સામાન ભરીને બહાર નીકળવાની કોશિશ કરતાં ઝડપાયોઅમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને સેક્ટર-25 ડી-માર્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અવિનાશભાઈ વરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સ્ટોર મેનેજર તુષાર ગાયકવાડ અને અન્ય સ્ટાફ સાથે સ્ટોરની દેખરેખમાં હતા. રવિવારે સાંજે અંદાજે ચારેક વાગ્યાની આસપાસ સીસીટીવી ફૂટેજ ચેક કરતી વખતે તેમની નજર એક શંકાસ્પદ શખ્સ પર પડી હતી. આ શખ્સ ટ્રોલીમાં સામાન ભરીને કેશ કાઉન્ટર પર ગયા વગર જ સીધો બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. મેનેજર અને સ્ટાફે તેને અટકાવ્યો, તેની પાસે કોઈ બિલ મળ્યું નહીંજ્યારે આ શખ્સ સામાન ભરેલી ટ્રોલી લઈને ગેટની બહાર નીકળ્યો, ત્યારે સતર્ક મેનેજર અને સ્ટાફે તેને અટકાવ્યો હતો. તેની પાસે સામાનનું બિલ માંગતા તેની પાસે કોઈ બિલ મળી આવ્યું નહોતું. ટ્રોલીમાં તપાસ કરતા ઘરવખરીનો કિંમતી સામાન મળી આવ્યો હતો, જે તે બિલ વગર ચોરી છૂપીથી લઈ જઈ રહ્યો હતો. ફરિયાદ નોંધાઈઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કિશોરસિંહ ઇન્દ્રસિંહ ગોલ અને તે હાલમાં વિસત રોયલ ફ્લેટ પેથાપુર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં સ્ટોરના ઉપરી અધિકારીઓની સૂચના પછી આસિસ્ટન્ટ મેનેજર અવિનાશભાઈએ આજે સેક્ટર-21 પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરાવ્યો છે.
બોરસદના સૈયદ ટેકરા વિસ્તારમાં આવેલી ઉર્દૂ પ્રાથમિક શાળા ખાતે ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખંભાત સરકારી હોસ્પિટલના નર્સિંગ ઓફિસર સૈયદ આસેફાબાનું સફાકતઅલી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં શાળાના આચાર્ય સમીનાબાનુ પીપાડવાલા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમણે ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું સ્વાગત કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સામાજિક સંસ્થા મોઇનુદીન યુવા ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિસરમાં આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે 25 જાન્યુઆરીના રોજ કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીએ જાહેર મંચ પરથી આક્રમક નિવેદન આપ્યું હતું, જે હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. સમૂહ લગ્નના મંચ પરથી સંબોધન કરતાં મંત્રી સોલંકીએ જણાવ્યું કે, ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે... વાતો કરીને ભાગી જાય છે... પણ એમાંનો હું નથી. જ્યારે જરૂર પડશે ત્યારે ધોકા દેવા પડશે તો એ ધોકા પણ પરસોત્તમ સોલંકી જ ઉપાડશે. આ નિવેદન દ્વારા તેમણે સમાજ પ્રત્યે પોતાનો દબંગ અંદાજ પ્રદર્શિત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, મને કોઈ મર્યાદા આવતી નથી. હું રાજકારણ કરતો નથી, રાજકારણ મને આવડતું પણ નથી. દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી બનીને ઊભો રહેવું—આ જ મારી રાજનીતિ છે. તેમના શબ્દોમાં આક્રમકતા અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. મંત્રીએ સમાજને ખાતરી આપી કે, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો પરસોત્તમ સોલંકી જીવતો હશે ત્યાં સુધી તમારી સાથે રહેશે. ભાષણ કરવાથી કાંઈ થતું નથી, કામ કરવાથી થાય છે. જ્યારે સમય આવશે ત્યારે પરસોત્તમ સોલંકી ધોકા પણ ઉપાડશે. તેમણે પોતાના નિવાસસ્થાનોનો ઉલ્લેખ કરતા ખુલ્લું આમંત્રણ આપ્યું કે, ભાવનગર હોઉં કે ગાંધીનગર, ઉનામાં હોઉં કે ક્યાંય હોઉં... તમને જરૂર પડે તો સીધા આવી જજો. તમારા અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. સમૂહ લગ્નના મંચ પરથી અપાયેલું આ નિવેદન માત્ર ભાષણ પૂરતું સીમિત ન રહેતા, એક રાજકીય ચેતવણી અને શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. કોળી સમાજના સમર્થકોમાં મંત્રી સોલંકીનો આ આક્રમક અને નિર્ભય અંદાજ પહેલેથી જ લોકપ્રિય છે, અને વેલણના સમૂહ લગ્નમાં આપેલા આ શબ્દોએ તેમના સમર્થકોમાં નવી ઉર્જા ભરી દીધી હોવાનું જણાય છે.
સુરેન્દ્રનગરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-રાજકોટ સંસ્થાનની શાખા ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું, જેની યાદમાં આ દિવસની ઉજવણી થાય છે. શાળા કેમ્પસમાં સવારે 7.30થી 11.30 દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન, ધ્વજસલામી અને રાષ્ટ્રગીતના ગાન સાથે થઈ હતી. આ પ્રસંગે આનંદપ્રિયસ્વામી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સી.ટી. ટુંડીયા, જયેશ હેરમાં, લલિત ચાવડા અને નારાયણ પાવરા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ આ ઉજવણીમાં સક્રિય ભાગ લીધો હતો. ત્યારબાદ શાળાના પ્રાર્થનાખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, પિરામિડ પ્રસ્તુતિઓ, વક્તૃત્વ સ્પર્ધા અને દેશદાઝનું વર્ણન કરતા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક કારકિર્દીમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવો અને પૂજ્ય સંતગણના હસ્તે સન્માનપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર લાઈટ સંસ્થાના આચાર્ય સી.ટી. ટુંડિયા અને શાળાના સંચાલક આનંદપ્રિય સ્વામીએ પ્રજાસત્તાક દિવસ સંબંધિત વક્તવ્ય આપ્યા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરી દેશને મદદરૂપ થવા આશીર્વાદ આપ્યા હતા. શાળાના આચાર્ય પિયુષ સાવલિયાની આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આચાર્યના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક મિત્રોના સહિયારા પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. વાલીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
ધ્રાંગધ્રામાં ₹1.07 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો:ટ્રકના ચોરખાનામાંથી LCB સુરેન્દ્રનગરે જથ્થો પકડ્યો
સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીકથી રૂ. 1.07 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ-કચ્છ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રકના ચોરખાનામાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં દારૂબંધી અને જુગારની બદીને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ તેમજ પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હાઇવે પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, કચ્છ-અમદાવાદ હાઇવે પર સોલડી ટોલ નાકાથી ચુલી ગામ તરફ જતાં આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી NL-01-Q-1030 નંબરની ટાટા કંપનીની ટ્રકની તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં કુલ 25,440 નાની ઇંગ્લીશ દારૂની બોટલ (ચપલા)નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 87,56,400 આંકવામાં આવી છે. આ ઉપરાંત, એક સિમ કાર્ડ, એક ફાસ્ટેગ અને રૂ. 20,00,000ની કિંમતની બંધ બોડીની ટાટા ટ્રક પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. 1,07,56,400નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રકના ચાલક અને માલિક હાલ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની તપાસ LCB ટીમના પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમા અને સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ.દશરથભાઈ ઘાંધર, પો.કોન્સ સંજયભાઇ પાઠક, પો.કોન્સ ગીરીરાજસિંહ જાડેજા, પો.કોન્સ મેહુલભાઇ મકવાણા તથા ડ્રા.પો.હેડ કોન્સ યુવરાજસિંહ વાધેલા દ્વારા કરવામાં આવી હતી.
બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે. લાંબા સમયની તપાસ અને ટેકનિકલ પુરાવાઓના વિશ્લેષણ બાદ પોલીસે આરોપી જયરાજ આહીરની ધરપકડ કરી છે. આ મામલે ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસ પ્રશાસન અને વકીલોની ભૂમિકા અંગે મહત્વના નિવેદનો આપ્યા છે. 'પોલીસે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે'તપાસની પ્રક્રિયા વિશે વાત કરતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, બગદાણા હુમલાની તપાસ માટે જ્યારે SIT ની રચના કરવામાં આવી, ત્યારે જ અમને વિશ્વાસ હતો કે સત્ય બહાર આવશે. SITની ટીમે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી છે. 29 ડિસેમ્બરની આ ઘટનામાં ગુનેગારોને પકડવામાં વિલંબ થયો હતો, પરંતુ પોલીસે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. 'SITની ટીમે સાચી દિશામાં કામ કરીને ગુનેગારોની ધરપકડ કરી છે'હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, SIT આ બગદાણાના મુદ્દા પર કામ કરી રહી હતી. બે દિવસ પહેલા જ તેમને સફળતા મળી છે અને સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે અંતે ન્યાય મળ્યો છે. નવનીતભાઈ પર થયેલા હુમલામાં ગુનેગારો પકડાતા નહોતા, તેથી નવનીતભાઈ અને અન્ય ઘણા આગેવાનો તેમજ યુવાનોની સોશિયલ મીડિયા દ્વારા માંગ હતી કે આ તપાસ માટે SITની રચના કરવામાં આવે. હવે SITની ટીમે સાચી દિશામાં કામ કરીને ગુનેગારોની ધરપકડ કરી છે. હું SITની ટીમની પ્રશંસા કરું છું અને એક સામાન્ય માણસને ન્યાય અપાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈનો પણ આભાર માનું છું. પોલીસ દ્વારા રિમાન્ડ ન માંગવા બાબતે તમારું શું કહેવું છે?હીરાભાઈ સોલંકીએ કહ્યું કે, આ મામલો 29 ડિસેમ્બરનો છે. વિગતવાર તપાસ બાદ ગુનેગારોની એક પછી એક ધરપકડ કરવામાં આવી છે. હીરા સોલંકીએ જણાવ્યું કે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજના અનેક નામી વકીલો આગળ આવ્યા છે. આ વકીલોની ટીમે નવનીતભાઈને સંપૂર્ણ કાયદાકીય ટેકો જાહેર કર્યો છે. 'આ કોઈ જ્ઞાતિનો ઝઘડો કે અંગત અદાવત નહોતી'માયાભાઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જે થયું તે સારું થયું અને આગળ પણ સારું જ થશે. આ વિશે તમે શું કહેશો? ત્યારે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ માયાભાઈની લાગણી છે, અને અમે પણ કહીએ છીએ કે જે થશે તે સારું જ થશે. અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કારણ કે આ કોઈ જ્ઞાતિનો ઝઘડો કે અંગત અદાવત નહોતી. 'ગુંડાગીરી કે ભાઈગીરી માટે કોઈ સ્થાન નથી'ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વિભાગના કડક વલણને કારણે હવે કોઈ પણ ગુનેગાર બચી શકશે નહીં. વકીલો દ્વારા કરવામાં આવતી કાયદાકીય મદદ અને SIT ની સચોટ તપાસને કારણે નવનીતભાઈને ચોક્કસપણે ન્યાય મળશે. અમને ન્યાયતંત્ર અને પોલીસ પર પૂરો ભરોસો છે. ગુજરાતમાં ગુંડાગીરી કે ભાઈગીરી માટે કોઈ સ્થાન નથી, તે આ કેસની કાર્યવાહીથી સાબિત થાય છે.
સાપુતારામાં પ્રજાસત્તાક દિને 70 બાઈક જપ્ત:ધૂમ સ્ટાઈલથી સ્ટન્ટ કરનારા યુવાનો સામે પોલીસની કાર્યવાહી
ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવાનોએ સાપુતારાના ટેબલ પોઇન્ટ વિસ્તારમાં 'ધૂમ' ફિલ્મ સ્ટાઈલમાં બેફામ બાઈક સ્ટન્ટ કર્યા હતા. પ્રવાસીઓની ભીડ વચ્ચે જોખમી રીતે બાઈક ચલાવી ભયનું વાતાવરણ સર્જવામાં આવતા, સાપુતારા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સાપુતારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલિયા અને તેમની ટીમે સતર્કતા દાખવી આવા બેફામ બાઈક સવારો સામે કડક પગલાં લીધા હતા. પોલીસે ટેબલ પોઇન્ટ અને આસપાસના વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં 'ધૂમ' સ્ટાઈલમાં બાઈક ચલાવી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે 70 જેટલી બાઈક જપ્ત કરવામાં આવી હતી. પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીથી બાઈક ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ બાઈક સવારો સામે મોટર વાહન અધિનિયમની કલમ 207 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે નોંધ્યું છે કે જાહેર સ્થળોએ જોખમી સ્ટન્ટ, અતિઝડપ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું ગંભીર ગુનો છે, તેમ છતાં કેટલાક યુવાનો નિયમોની અવગણના કરતા જોવા મળે છે. સાપુતારા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ આવા પ્રકારના સ્ટન્ટ કે ઉપદ્રવને કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં આવા તત્વો સામે કડક નજર રાખી કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસની આ કામગીરીને સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ આવકારી છે. તેમણે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા બદલ પોલીસની પ્રશંસા કરી છે.
11 લાખ.... આ કોઈ લોટરીની ટિકિટનો આંકડો નથી. આ છે 1 અમેરિકન ડોલર સામે ઈરાની ચલણ રિયાલની કિંમત. ઈરાની ચલણ અત્યારે કાગળના ટૂકડાથી પણ સસ્તી બની ગઈ છે. ઈરાનમાં એક પિતા પોતાના બાળક માટે દૂધનું પેકેટ લેવા જાય તો પણ તેને નોટોના બંડલનો થપ્પો ભરેલો થેલો લઈને જવો પડે છે. અત્યારે અમેરિકાના કારણે ઈરાનની સ્થિતિ તંગ છે. શું થઈ રહ્યું છે ઈરાનમાં અને શું અમેરિકા ગમે ત્યારે પણ ઈરાન પર હુમલો કરી દેશે? આપણા ઘરના રસોડાને અમેરિકા ઈરાનના ઝઘડાથી શું નફો નુકસાન? તમામ વિગતો જાણીશું અને સાથે એ પણ સમજીશું કે જો અમેરિકા જ ન હોત તો ઈરાન આજે ક્યાં હોત? નમસ્કાર.... અત્યારે પર્શિયન ગલ્ફમાં જે દ્રશ્યો છે તે કોઈ હોલીવુડ ફિલ્મની પટકથા જેવા લાગે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાનું આરમાડા નામનો એક વિરાટ નૌકા કાફલો ઈરાનના દરિયાકાંઠા તરફ ધસી રહ્યો છે. 23 જાન્યુઆરીએ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જો ઈરાન પોતાના નાગરિકોની સામૂહિક ફાંસી બંધ નહીં કરે, તો અમેરિકાની મિસાઈલો તહેરાન તરફ વળશે. આ પરિસ્થિતિ અત્યારે માત્ર રાજદ્વારી નિવેદનો પૂરતી મર્યાદિત નથી, પણ એક ભયાનક લશ્કરી અને માનવીય કટોકટીમાં ફેરવાઈ ગઈ છે. તેને સરળ રીતે સમજીએ..... કોણ? ઃ એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો આરમાડા કાફલો છે, જે ઈરાન પર નજર રાખશે અને જરૂર પડ્યે યુદ્ધમાં પણ ઉતરી શકે છે અને સામે પક્ષે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ સેના IRGC છે. બંને દેશોની રાજકીય લડાઈની સૌથી વધુ કિંમત ઈરાનની સામાન્ય જનતા ચૂકવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 5 હજાર લોકોના મોતના સમાચાર વિશ્વભરના સમાચાર પત્રોમાં છે. શું? : અમેરિકાએ સાવચેતીના નામે ઈરાનના ઉંબરે પરમાણુ શક્તિ ધરાવતું નૌકાદળ ઊભું કરી દીધું છે. ટ્રમ્પે ઈરાનને પોતાના નાગરિકો પર હિંસા બંધ કરવા અને પરમાણુ કાર્યક્રમ અટકાવવાની છેલ્લી ચેતવણી આપી છે. સામે પક્ષે ઈરાને ધમકી આપી છે કે જો હુમલો થયો તો તે યુદ્ધ ગણાશે. ક્યાં? : દુનિયાના નકશાના કેન્દ્ર એવા પર્શિયન ગલ્ફમાં USS અબ્રાહમ લિંકન વિમાનવાહક જહાજ તૈનાત છે, જ્યારે તુર્કમેનિસ્તાનમાં યુએસ એરફોર્સના F-15 વિમાનો સજ્જ છે. બીજી તરફ, ઈરાને તેની મિસાઈલો અને ડ્રોન લોન્ચ સાઈટ્સ તરફ ખસેડવાનું શરૂ કરી દીધું છે. ક્યારે? : આજની તારીખે ઈરાનમાં ઈન્ટરનેટ પર પૂરી રીતે બેન મૂકી દેવામાં આવ્યો છે. 1 ટકા ઈન્ટરનેટ સરકારી કામકાજ માટે ચાલુ છે. જ્યારે જેનઝી યુવાનો સ્ટારલિંક કે તેના જેવી ટેક્નોલોજીથી ઈન્ટરનેટ વાપરી રહ્યા છે. શા માટે? : અમેરિકાના આંતરરાષ્ટ્રીય દબાણો અને ઈરાનને આર્થિક રીતે કચડી નાખવાની નીતિ બાદ ઈરાનની જનતા ભૂખી છે. જનતા અત્યારે રોટલી માટે સરકાર સામે જ લડાઈ લડી રહી છે. તેઓ લોકશાહી કે નવા બંધારણ મુજબ દેશ ચાલે તેવી માગ સાથે રસ્તા પર દેખાવો કરવા ઉતરી ગયા છે. જો કે તેમને ફાંસીની સજાઓ કરવામાં આવી રહી છે માટે તેને રોકવા અમેરિકા વચ્ચે પડ્યું છે. કેવી રીતે?: અમેરિકા અત્યારે બેવડી નીતિ અપનાવી રહ્યું છે. એક તરફ ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તો બીજી તરફ અમેરિકાએ પોતાનું લશ્કર ઈરાન આસપાસ ઉભું કરી દીધું છે. હાલ અમેરિકાનું પરમાણું હથિયારોવાળું જહાજ USS અબ્રાહમ લિંકન સાઉથ ચાઈના સીના મલક્કા સ્ટ્રેઇટથી નીકળી ઈરાન નજીક પહોંચી ગયું છે. શું ઈરાનનો ઈતિહાસ ફરીથી એક નવો વળાંક લેશે? તે જાણવા માટે આપણે આ સંઘર્ષના મૂળમાં રહેલી નજીકને ઘટનાને જાણવી પડશે. ઈરાનના આર્થિક હાલ કેમ બેહાલ? ઈરાનની આજે જે સ્થિતિ છે તેના મૂળ જૂન 2025ના ઈઝરાયલ સાથેના 12 દિવસના યુદ્ધમાં છે. ઈઝરાયેલે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર 200 ફાઈટર જેટ્સથી હુમલો કર્યો, ત્યારે દુનિયાને લાગ્યું કે ઈરાન ઘૂંટણિયે પડી જશે. પણ શાસન બચી ગયું. અમેરિકાના B-2 સ્પિરિટ બોમ્બર્સે ફોર્ડોના પહાડોને હચમચાવી નાખ્યા, છતાં ઈરાને પોતાની પરમાણુ જીદ છોડી નથી. પણ આઈરની અહીં એ છે કે જે ઈરાનને અમેરિકા ન્યૂક્લિયર હથિયારો બનાવતા રોકે છે તે અમેરિકા પાસે જ રશિયા બાદ સૌથી વધુ ન્યૂક્લિયર હથિયાર છે. અલ્લાહ પર ભરોસો પણ આયાતુલ્લા પર નહીં! ખૈર, ઐતિહાસિક રીતે જોઈએ તો, 1979માં જ્યારે ઈરાનના શાહનું પતન થયું ત્યારે બઝારી એટલે કે વેપારીઓએ ખૌમેનીને સાથ આપ્યો હતો અને સત્તા પલટો કર્યો હતો. ઈતિહાસમાં આને ઈરાનની ઈસ્લામિક ક્રાંતિ કહેવામાં આવે છે. પણ આજે, 47 વર્ષ પછી, ઇતિહાસ પોતાને દોહરાવી રહ્યો છે. તે જ બઝારીઓ ઈસ્લામિક સત્તા સામે ઉતરી પડ્યા છે. અમેરિકા, ઈરાન અને ચીન… અમેરિકાની મેક્સિમમ પ્રેશર નીતિ ઈરાનમાં ઈરાન માટે તો છે જ... પણ આડકતરી રીતે રશિયા અને ચીન માટે પણ છે. અમેરિકાની અત્યારની 25 ટકા ટેરીફની ધમકીએ ચીનને એ વિચારવા મજબૂર કર્યું છે કે શું ઈરાનનું તેલ લેવું તેમને પરવડશે કે નહીં? જો રશિયા અને ચીન ઈરાનમાંથી આડકતરી રીતે પાછા હટી જશે તો લગભગ ઈરાનની સરકાર પાસે તેમના સૈનિકોને આપવા માટે પણ પૈસા નથી બચ્યા. શાસન માટે સત્તા ગુમાવવાનો ડર હવે પરમાણુ યુદ્ધના ડર કરતા પણ મોટો બની ગયો છે. પ્રમુખ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે તેમના કહેવાથી ઈરાને 800 કેદીઓની ફાંસી રોકી દીધી છે. જોકે, ઈરાનના ટોચના પ્રોસિક્યુટરે આ વાતને સંપૂર્ણ ખોટી ગણાવીને ફગાવી દીધી છે. ઈરાનના પાડોશીને પણ અમેરિકાની ધમકી અમેરિકા માત્ર ઈરાન સાથે જ નહીં, પણ તેના પડોશી દેશો સાથે પણ મોટી ગેમ રમી રહ્યું છે. અમેરિકાએ એવી ધમકી આપી છે કે જો ઈરાકના મંત્રીમંડળમાં ઈરાન તરફી સભ્યોને સ્થાન આપવામાં આવશે, તો અમેરિકા ઈરાકને કરવામાં આવતા ડોલર ટ્રાન્સફર અને આર્થિક મદદ રોકી દેશે. એટલાન્ટિક કાઉન્સિલના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ માત્ર પરમાણુ મથકો જ નહીં, બીજે પણ હુમલા કરી શકે છે: યુનાઈટેડ નેશન્સની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં 23 જાન્યુઆરીએ ઈરાનનાની નિંદા કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે ચીન સાથે ભારતે પણ તેમાં NOનો વોટ કર્યો હતો. આ બહુ મોટી વાત કહેવાય. મુદ્દો કંઈક એવો છે કે જ્યારે પણ યુનાઈટેડ નેશન્સમાં કોઈ દેશ વિરુદ્ધ પ્રસ્તાવ કરવામાં આવે છે, ત્યારે ભારત પાસે ત્રણ રસ્તા હોય છે: સામાન્ય રીતે માનવ અધિકાર કે કોઈ દેશના આંતરિક મુદ્દા પર અમેરિકા યુએનમાં પ્રસ્તાવ પાસ કરાવે ત્યારે ભારત મૌન એટલે કે તટસ્થ રહે છે. કારણ કે ભારતને અમેરિકાનો સાથ પણ નથી આપવો અને તેનો વિરોધ પણ નથી કરવો. પણ ઈરાન ભારતનો જૂનો મિત્ર છે. યુએનમાં ઈરાનમાં 5 હજાર લોકોના મોતના અહેવાલનો નિંદા પ્રસ્તાવ પસાર કરાયો તેમાં ભારતો તટસ્થને બદલે ચીનની જેમ નોમાં વોટ આપ્યો છે. વિદેશનીતિમાં ભારતનું વલણ બદલાયું અહીં નોંધવા જેવી બાબત એ છે કે દુનિયાના મંચ પર ભારતનું વલણ બદલાયું છે. ભારત જે સામાન્ય રીતે આવા મુદ્દે મૌન રહેતું હતું, તેણે આ વખતે ખુલ્લેઆમ ઈરાનના સમર્થનમાં અને અમેરિકાના વિરોધમાં વોટ આપ્યો છે. આ સાબિત કરે છે કે ભારત હવે કોઈના દબાણમાં નથી, પણ પોતાની શરતો પર વિદેશ નીતિ નક્કી કરી રહ્યું છે. અમેરિકાએ સૈનિકા પાછા બોલાવ્યા એક બાજુ અમેરિકા આરમાડા મોકલી રહ્યું છે, તો બીજી બાજુ તેણે ઈરાનની મિસાઈલ રેન્જમાં આવતા પોતાના મિલિટ્રી બેઝમાંથી સૈનિકોની સંખ્યા ઘટાડવાનું શરૂ કર્યું છે. આનો અર્થ એ છે કે અમેરિકા ઈરાનના પલટવારથી બચવા માંગે છે જેથી જો તે હુમલો કરે તો તેના પોતાના સૈનિકોને ઓછું નુકસાન થાય. અમેરિકા ગમે ત્યારે ખેલ પાડી દેશે? ઈરાનને બીજો ડર વેનેઝુએલામાં માદુરો સાથે જે થયું તેનો પણ છે. 3 જાન્યુઆરી 2026ની રાતે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને તેના જ દેશમાંથી ઉઠાવીને મિડલ ઈસ્ટ સહિત દુનિયાભરમાં ફફડાટ ફેલાવી દીધો છે. ઈરાન સમજી ગયું છે કે અમેરિકા ઈનવેઝન નહીં કરે રાતો રાત ખેલ પણ પાડી શકે છે. ઈરાન હવે એવા તબક્કે છે જ્યાં એકબાજુ અમેરિકા સામે લડવા અને પોતાની રક્ષા કરવા ન્યૂક્લિયર મિશન હતું તે જ નહીં રહે અને રાતોરાત સરકાર ઉથલી શકે છે. ઈરાનમાં કંઈ થાય તો આપણે શું? વિચાર કરો કે ઈરાન નજીક કે ઈરાનમાં કંઈ પર આડું અવડું થાય તો બીજા જ દિવસે તેની અસર તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ઉભા રહો ત્યારે મશીનના આંકડા પર દેખાય. કિંમતોમાં ઉછાળો આવી શકે છે. એટલે આપણને એવું લાગે કે વિશ્વના બીજા ખુણે શું ચાલી રહ્યું છે તેનાથી મારે કેટલા લેવા દેવા? તો આ સમજી લઈએ તો ખબર પડે કે દુનિયાના કોઈ પણ ખુણે કંઈ પણ થાય તેની અસર આપણા દેશ, ઘર, રસોડા અને ખિસ્સા પર પણ પડી શકે છે. અમેરિકન સમાચાર પત્ર ધ વોલ સ્ટ્રીટ જર્નલે એક અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે ટ્રમ્પે એવા સૈન્ય વિકલ્પોની માગ કરી છે, જે ઈરાનની સરકારનું નામોનિશાન મિટાવી દે. અમેરિકન ડિફેન્સ મિનિસ્ટ્રી અને વ્હાઇટ હાઉસે આના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સામેની બાજુ અમેરિકાના એરક્રાફ્ટ પણ ઈરાનની ઉત્તરમાં તુર્કમેનિસ્તાનના અશગાબાદ એરપોર્ટ પર ઉતરી ગયું છે. યુએસ એરફોર્સે જોર્ડનમાં ઓછામાં ઓછાં 12 F-15 ફાઇટર જેટ્સ તહેનાત કર્યાં છે. સામેની બાજુ ઈરાને કહ્યું હતું કે અમેરિકા કંઈ પણ હરકત કરશે તો અમારી આંગળી ટ્રિગર પર જ છે. ઈઝરાયલનું નામોનિશાન મીટાવી દેશું અને પરિસ્થિતિઓ ભોગવવા પણ તૈયાર છીએ. સામેની બાજુ ઈઝરાયેલે પણ કહી દીધું છે કે ઈરાનને સાત ગણી વધુ તાકાતથી જવાબ આપીશું. અમેરિકાનો એંગલ પણ સમજીએ હવે ઈરાનની આજની પરિસ્થિતિ મામલે અમેરિકા અને ઈરાન બંનેના પક્ષોને પણ સમજીએ. અમેરિકાનું કહેવું છે કે ઈરાનની પરમાણુ જીદના કારણે આજે ઈરાનની આવી હાલત થઈ છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાની સરકારે રૂપિયા લોકો પાછળ વાપરવાના બાદલે આતંકવાદ, હથિયાર અને ડિફેન્સ પર વાપર્યું છે. અમેરિકાનું કહેવું છે કે તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો એટલા માટે લગાવ્યા કારણ કે ઈરાનમાં ક્રૂર શાસન છે. માટે ઈરાન પર મેક્સિમમ પ્રેશરની સ્થિતિ અમેરિકાએ લગાવી છે. ઈરાનનો એંગલ પણ સમજીએ હવે ઈરાનની સાઈડની પણ વાત કરીએ તો તેમની માનસિકતા અમેરિકા અને ઈઝરાયલ વિરોધી છે. દુનિયાના મોટા ભાગના દેશોની જેમ અમેરિકા જેવું વિચારે તેવું જ વિચારવું જરૂરી નથી. જેના કારણે અમેરિકાએ દુનિયા પર દબાણ કર્યું અને દુનિયાને ઈરાન પાસેથી તેલ લેવા પર મનાહી કરાવી દીધી. આ વર્તન ઈરાની એંગલથી ગેરકાયદેસર અને અન્યાયી છે. ઈરાનની અર્થવ્યવસ્થા અમેરિકાના પ્રતિબંધોના કારણે જ લકવા ગ્રસ્ત થઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનમાં સામાજિક શાંતિ અને શાસન પતન માટે ન કરવાનું કર્યું છે. અમેરિકાના કારણે ઈરાનમાં જીવન જરૂરી વસ્તુઓની લેવડ દેવડ પણ બંધ કરાવી દીધી. અને છેલ્લે.... અમેરિકાએ પોતાની વાત મનાવવા કે પોતાની ગમતી કે પોતાના તરફની સરકાર બીજા દેશોમાં બેસાડવા વર્લ્ડ વોર ટુ પછી 60થી વધુ દેશોમાં 400થી વધુ મિલેટરી ઓપરેશન્સ કર્યા છે. અમેરિકાએ યુનાઈટેડ નેશન્સના કાયદાઓ તોડીને પણ 1999માં યુગોસ્લોવાકિયા, 2003માં ઈરાક, 2011માં લિબિયા અને 2026માં વેનેઝુએલા પર ઓપરેશન કર્યા છે. સિરિયા અને અફઘાનિસ્તાન તેનું સૌથી મોટું ઉદાહરણ છે. શું અમેરિકાએ વિશ્વ પર ઈરાનને આર્થિક મદદ ન કરવા દબાણ ન કર્યું હોત તો ઈરાન આજે આર્થિક રીતે કંગાળ હોત? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું; નમસ્કાર. (રિસર્ચ સમીર પરમાર)
બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં.15 માં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'દીકરીની સલામ દેશને નામ' કાર્યક્રમ અંતર્ગત શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની ડાંભલા પ્રિન્સી મુનાભાઇ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ દિવ્યાંગ વિદ્યાર્થીની પ્રિન્સી મુનાભાઇને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શાળા વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં જન્મેલી દીકરીઓના માતા-પિતાને પણ સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વાલી મનીષભાઈ શાહ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વાલીઓની એક મીટિંગ પણ યોજાઈ હતી. જેમાં શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ પ્રજાસત્તાક પર્વના મહત્વ અને વાલી મીટિંગના મુખ્ય મુદ્દાઓ પર ઉદબોધન કર્યું હતું. અંતમાં, જોગીદાસભાઈ ગોવાળિયા તરફથી તેમના માતૃશ્રી સોનબાઈબેન નાંગભાઈ ગોવાળિયાની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને સમોસાનો નાસ્તો કરાવી બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. બંને દાતાશ્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરી શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ સઘન પ્રયાસો કર્યા હતા. આચાર્યશ્રીએ તેમના યોગદાન બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છના ગાંધીધામમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રોટરીનગર વિસ્તારમાં માત્ર ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી એક યુવકને જીવતો સળગાવી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા સહિત ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. બીજી બાજું ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, રોટરીનગર વિસ્તારમાં અગાઉ ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ગઈકાલે 25 જાન્યુઆરીના રોજ વર્ષીય હીરાભાઈ મહેશ્વરીના 50 વર્ષીય ભાઈ કરસનભાઈને પકડીને માર માર્યો હતો. જ્યારે ભોગ બનનાર આધેડ પોતાના ઘરના બાથરૂમમાં ગયો, ત્યારે આરોપીઓએ પાછળ જઈ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ગંભીર હુમલામાં આધેડ આખા શરીરે ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે મામલતદારની હાજરીમાં ભોગ બનનાર કરસનભાઈનું મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવ્યું હતું. આજે 26 જાન્યુઆરીએ સવારે તેમનું મોત થયું હતું. બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ આ બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મર્ડરનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલ આરોપીઓ 1. પ્રેમીલાબેન નરેશભાઈ માતંગ (ઉં.વ. 30) 2.અંજુબેન ઉર્ફે અજીબેન હરેશભાઈ માતંગ (ઉં.વ. 36) 3.ચીમનારામ ગોમારામ મારવાડી (ઉં.વ. 47) આ ઉપરાંત, આ કેસમાં અન્ય એક મહિલા આરોપી મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. કાયદાકીય કાર્યવાહીપોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 103(1), 115(2), 332(એ) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં પી.આઈ. એસ.વી. ગોજીયા સહિત પીએસઆઈ એલ.એન. વાઢીયા, એન.બી. બાંભવા અને સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરમસદના અખંડ ભારત ઉદ્યાન ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કમિશનર મિલિંદ બાપનાએ ધ્વજવંદન કરી નગરજનોને સંબોધિત કર્યા હતા. કમિશનર બાપનાએ જણાવ્યું કે સરદાર પટેલની કર્મભૂમિ પર મનપાની રચનાના એક વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારના સહયોગથી વિકાસની ગતિ તેજ બની છે. રાજ્ય સરકારે વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે મનપાને ૨૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનાથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. આગામી સમયના ભવ્ય વિઝન અંગે વાત કરતા મિલિંદ બાપનાએ જાહેરાત કરી હતી કે આણંદ-વિદ્યાનગર રોડ પર વિશ્વસ્તરીય 'સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર' અને APC સર્કલ પર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કમિશનરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવા માટે પાંચ મુખ્ય સંકલ્પો રજૂ કર્યા હતા. તેમણે નગરજનોને મારું શહેર, મારી ઓળખ ના ભાવ સાથે સ્વચ્છતા જાળવવા, કચરાનું વર્ગીકરણ કરવા અને શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સક્રિય સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મનપાની સેવાઓને ડિજિટલ બનાવી પારદર્શિતા લાવવી અને નવા ભળેલા ગામોને શહેર જેવી જ આધુનિક સુવિધાઓ પૂરી પાડવી એ મનપાની પ્રાથમિકતા રહેશે. આ ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મનપાના અધિકારીઓ અને કર્મચારીઓનું કમિશનરના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ, ફાયર ઓફિસર એસ.કે. ગોર સહિત મનપાના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વડીલો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડના પારનેરા ડુંગરની તળેટીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલની મદદ લીધી છે અને લાશ પાસેથી એક પાકીટ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આખો બનાવ શું છે?પારનેરા ડુંગર પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ડુંગરની તળેટીમાંથી પસાર થતા સ્થાનિક લોકોને અજીબ દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ઝાડ ઉપર નાયલોનના દોરા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જાનવર કમર નીચેનો ભાગ ખાઈ ગયાપ્રાથમિક દ્રષ્ટિએ, લાશ લાંબા સમયથી ત્યાં હોવાથી ડીકમ્પોઝ હાલતમાં હતો. મૃતકનો કમરથી નીચેનો ભાગ પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયો હોવાનું પણ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સરપંચને આ અંગે જાણ કરી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરીસ્થાનિક અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ લાશની ગંભીર સ્થિતિ જોઈ વલસાડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસના PI એસ એન ગડ્ડું અને તેમની ટીમ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરતા ઝાડ સાથે નાયલોનના દોરા વડે ફાંસો ખાધેલી હાલતમાં કમરથી ઉપરનો ભાગ જ મળ્યો હતો. અજાણ્યા શખસની ઓળખ માટે તજવીજપોલીસે મૃતદેહનો કબજો લઈ વલસાડ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમની મદદથી આગળની કાર્યવાહી શરૂ કરી છે. લાશ પાસેથી એક પાકીટ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેને પોલીસે કબ્જે લઈ તપાસ આગળ ધપાવી છે. અજાણ્યા મૃતકની ઓળખ અને મોતના કારણ અંગે વલસાડ રૂરલ પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું મોટાખૂંટવડા ગામ હાલ પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે ઝઘડા એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, રસ્તા પર પશુઓ હંકારવા જેવી નજીવી બાબતે થયેલી પોલીસ અને પશુપાલક યુવાન સાથે ભારે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પેહલાં PSI એ પણ પશુપાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હુમલાના પાંચ દિવસ બાદ સામે પક્ષે પશુપાલકે PSI સહિત 4 કર્મીઓ પર 'પોલીસ દાદાગીરી' અને બેરહેમીથી માર મારવાની ફરિયાદ નોંધાવી હતી આમ, 4 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી, આ બનાવ અંગે ખૂટવડા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મોટાખુંટવડા ગામના રહેવાસી ભાવેશ રાધવભાઈ ચોસલા ઉ.વ.24, જેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ ગત તા.21/1/26 ના રોજ સાંજે પોતાની વાડીએથી ભેંસો લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, સાંજના સમયે બોરડી અને ખુંટવડા વચ્ચે આવેલી રોજકી નદીના નાળા પાસે રસ્તો સાંકડો હોવાથી ભેંસો પસાર થઈ રહી હતી,તે દરમિયાન ખુંટવડા પોલીસ સ્ટેશનના PSI યાદવ સરકારી જીપ સાથે ત્યાં પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ ભેંસો સાઈડમાં લેવા બાબતે યુવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, રસ્તો સાંકડો હોવાથી યુવાને આગળ જઈને ભેંસો સાઈડમાં લેવાનું કહેતા જ PSI ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને પકડીને લાફા ઝીકયાં હતા, તેમજ PSI યાદવ અને જસકુ કામળીયા યુવાનને પકડીને આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, GRD જવાન નાગજી યુવાન પાસેથી તેની જ લાકડી (બડો) આંચકી લીધી હતી અને તેના માથાના ભાગે ફટકારી દીધી હતી, જેના કારણે યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો, કોન્સ્ટેબલ જાડેજા ત્યારબાદ સ્થળ પર આવેલી 112 ની ગાડીના સ્ટાફ દ્વારા પણ યુવાનને માર મારવામાં આવ્યો હતો, ગાડીમાં બેસાડીને તેના વાળ ખેંચી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી, ઈજાગ્રસ્ત ભાવેશને પ્રથમ ખુંટવડા સરકારી દવાખાને અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી અને દુખાવો વધતા તેમને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને માથાના ભાગે ટાંકા પણ આવ્યા છે, પશુપાલક ભાવેશ ચોસલાએ ખૂટવડા પોલીસે મથકે ખૂટવડા પોલીસ સ્ટેશન ના PSI યાદવ, જસકુ કામળિયા, GRD જવાન નાગજી તથા જાડેજા વિરુદ્ધ બી.એન.એસની કલમ 115(2), 118(2), 352, 351(2), 351(3), 54 તથા જી.પી એક્ટ 135 મુજબ ચારેય પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, PSI યાદવએ પાંચ દિવસ નોંધાવેલી ફરિયાદ પાંચ દિવસ પહેલા મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રાજેશ જગરામભાઈ યાદવ અને GRD જવાન નાગજી ગીલાતર ભાવનગર ખાતે આઈ.જી.પી.ની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહન માં પરત ફરી રહ્યા હતા, ત્યારે સાંજના પોણા છ વાગ્યાની આસપાસ રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઇસમ ભેંસોનું ટોળું લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી, જ્યારે PSI યાદવે નીચે ઉતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. PSI પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો, વચ્ચે પડેલા GRD જવાન નાગજીભાઈ પર આ શખ્સે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી, આ દરમિયાન PSI યાદવ તેને રોકવા અને સ્વબચાવ કરવા વચ્ચે પડતા, હુમલાખોરે PSI ના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા, હુમલા બાદ ઈજાગ્રસ્ત PSI અને GRD જવાનને તાત્કાલિક મોટા ખૂંટવડા CHC ખાતે ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મહુવાની એસ.ઓ.એસ (SOS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ વિરુદ્ધ PSI રાજેશ યાદવએ ભાવેશ સોસલા બી.એન.એસ.ની કલમ 121(2), 221, 352, 285, જી.પી.એક્ટ 135 કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,
મોડાસામાં શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલયમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમ અને શિશુવિહારના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉમા કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસર વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં ઉમા કેળવણી મંડળના ઉપપ્રમુખ ડો. હરિલાલ પટેલ, મંત્રી રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાન તરીકે ડો. દિનકરભાઈ પંચાલ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સંસ્કારના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના કેળવાય તે માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના સન્માનથી શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. વાલીઓએ પણ પોતાના સંતાનોની સિદ્ધિ બદલ ગર્વ અનુભવ્યો હતો. આમ, શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલયમાં 77મો પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને યાદગાર બન્યો હતો.
કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંદાજે ₹19 કરોડના જંગી ખર્ચે બનેલા રેલવે અન્ડરબ્રિજમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાએ હવે જોર પકડ્યું છે. સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાની રજૂઆત બાદ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ આજે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે તેમણે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ ટીમને આડે હાથ લઈ, આગામી ચોમાસા પહેલા આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા કડક સૂચના આપી છે. કલેક્ટરની ગ્રાઉન્ડ વિઝિટ અને ટેકનિકલ ચર્ચા આજની મુલાકાત દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર મુકેશ વાઘેલા અને GUDC ના પ્રોજેક્ટ મેનેજર હિરેન ગોહેલ સહિતનો કાફલો હાજર રહ્યો હતો. કલેક્ટરે બ્રિજની ડિઝાઇનમાં રહેલી ખામીઓ અને પાણીના નિકાલની વ્યવસ્થા અંગે એન્જિનિયરો સાથે ઊંડી ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વરસાદી પાણી કુદરતી ચેનલ દ્વારા બહાર નીકળવાને બદલે અન્ડરપાસમાં એકત્રિત થઈ જાય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે અને જનતાને હાલાકી ભોગવવી પડે છે. ₹ 19 કરોડનું આંધણ અને ડિઝાઇન સામે સવાલ GUDC ના પ્રોજેક્ટ મેનેજર હિરેન ગોહેલના જણાવ્યા મુજબ, આ બ્રિજનું ટેન્ડર આશરે ₹19 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, આટલા મોટા ખર્ચે બનેલો બ્રિજ પહેલા જ ચોમાસામાં ફેલ સાબિત થયો હતો. ટેકનિકલ ટીમે સ્વીકાર્યું હતું કે પાણી ભરાવાનો પ્રશ્ન ગંભીર છે અને તેના માટે હવે એક નવી 'સાયફન ડિઝાઇન' તૈયાર કરવામાં આવી છે, જેની દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. કલેક્ટરે સૂચના આપી છે કે માત્ર પમ્પિંગ પર આધાર રાખવાને બદલે પાણીને 'નેચરલ ફ્લો' (કુદરતી ઢોળાવ) મુજબ એક બાજુથી બીજી બાજુ ડાયવર્ટ કરવામાં આવે તો જ આ સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે છે. ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા આ પ્રશ્ને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. લોકોની હાલાકીને ધ્યાને રાખી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સૂચના મળતા કલેક્ટરે આજે યુદ્ધના ધોરણે મુલાકાત લીધી હતી. ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, અન્ડરબ્રિજની સફાઈ અને મેન્ટેનન્સની જવાબદારી આગામી 3 વર્ષ સુધી GUDC ની એજન્સીની છે, તેથી પાલિકાના ખર્ચે નહીં પણ એજન્સીએ જ આ ખામીઓ સુધારવી પડશે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાની ખાતરી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી ચોમાસામાં અન્ડરબ્રિજ બંધ નહીં થાય. GUDC દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી ડિઝાઇન મુજબની કામગીરી વહેલી તકે શરૂ થશે.ચોમાસા પહેલા 100% કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.ડ્રેનેજ અને પાણી નિકાસની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરાશે,જ્યાં સુધી પાણી સુકાય નહીં ત્યાં સુધી ગંદકી અને ગારાના નિકાલ માટે એજન્સીને તાકીદ કરાઈ છે. તંત્રનો આદેશ: લોકોની સુવિધા પ્રથમ જિલ્લા કલેક્ટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય છે કે સરકારી નાણાંનો વ્યય ન થાય અને પ્રજાને સુવિધા મળે. આગામી સમયમાં એક ખાસ બેઠક બોલાવીને આ પ્રોજેક્ટની ફાઈનલ ડિઝાઇન મંજૂર કરાશે. જો એજન્સી દ્વારા નિષ્કાળજી રાખવામાં આવશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. કરોડોના ખર્ચે બનેલા અન્ડરબ્રિજમાં હવે 'સુધારાકામ' ની નવી આશા જાગી છે. કેશોદની જનતા હવે એ જોવાની રાહ જોઈ રહી છે કે આ ઉનાળામાં થનારી કામગીરી આવતા ચોમાસામાં કેટલી કારગત નીવડે છે.
દેશભરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટનાં ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પણ પ્રાંત અધિકારી ચાંદની પરમારની આગેવાનીમાં શહેર કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોને સન્માન કરવા બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બેઠક મામલે સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોનું અપમાન થયું હોવાનું સામે આવ્યું છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં સ્વાતંત્ર્ય સેનાના પરિજન અને મામલતદારે પણ આ બનાવની પુષ્ટિ કરી હતી. અને બેઠક વ્યવસ્થા મામલે થોડી બોલાચાલી બાદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. રાજકોટ પશ્ચિમનાં મામલતદાર અજીત જોશીએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, 10 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા અને તેમની સાથે 25 થી 30 પરિવારજનો આવ્યા હતા. જેથી તમામને કહેવામાં આવ્યું હતું કે છે સ્વતંત્ર સેનાનીઓ છે તે પ્રથમ હરોળમાં બેસે અને બાકીના પરિવારજનો પાછળની ખુરશીઓમાં બેસે. જોકે તે વખતે આગળની હરોળની અમુક ખુરશી ખાલી હતી જેથી સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોએ એવું વિચાર્યું કે આગળ બેસી જઈએ. જેથી તેઓ આગળ બેસી ગયા હતાં. પરંતુ સ્વતંત્ર સેનાનીઓની સાથે વહીવટી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો આગળની હરોળમાં બેસવાના બાકી હતા જેથી તેમને કહ્યું કે મહાનુભાવો આવશે ત્યારે તમને ઉભા કરી પાછળ બેસાડવા તે યોગ્ય નથી એટલે તમે પાછળની ખુરશીઓમાં બેસી જાવ. આ બાબતે જ તેઓને ખોટું લાગ્યું હતુ. જોકે બાદમાં સમજાવવામાં આવતા તેઓ સમજી ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટર ચાંદનીબેન પરમાર પણ આ પરિવારજનોને મળ્યા હતા અને બાદમાં મામલો પૂર્ણ થઈ ગયો હતો. સ્વાતંત્ર્ય સેનાનાં પરિવારજન અશ્વિન વિઠલાણીએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગળની હરોળમાં સાંસદ એકલા બેઠા હતા. અને તેમના કહેવાથી હું અને પૂજારાભાઈ તેમની સાથે બેસવા ગયા હતા. ત્યારે મામલતદાર સાહેબે અમને ફરી પાછળ આવવાનું કહ્યું હતું. જે બાબતે અમને દુઃખ લાગ્યું હતું. બેઠક વ્યવસ્થા માટે અગાઉ યાદી આપી હોવા છતાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી જે યોગ્ય નથી. જોકે બાદમાં સાહેબે અને ચાંદની મેડમે પણ આ માટે માફી માંગી હતી. અને અમે સર્કિટ હાઉસમાં સાથે બેસી નાસ્તો પણ કર્યો હતો. આ સમયે ત્યાં હાજર કૌશિકભાઈ અઢીયાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીનાં પરિવારજનો વિઠલાણી ભાઈ અને પૂજારાભાઈ હતા. મામલતદારે એમને પહેલી ખુરશી ખાલી રાખવા કહ્યું હતું. જેને લઈ એ લોકોએ સાંસદ સહિતના મહાનુભાવો આવે ત્યારે જગ્યા ખાલી કરી આપીશું એવું કહ્યું હતું. છતાં જગ્યા ખાલી કરવા આગ્રહ રાખતા તેઓને ખોટું લાગ્યું હતું. જોકે બાદમાં સર્કિટ હાઉસમાં બધાએ સાથે ચા નાસ્તો કર્યો હતો. અને સમાધાન થઈ ગયું હતું.
ભારત સામે હારવાનો ડર? બાંગ્લાદેશના બહાને ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનો નવો ડ્રામા
Pakistan Plans to Boycott High-Voltage Match Against India : ICCએ ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત બાંગ્લાદેશના સમર્થનમાં ICCને ધમકી આપી રહ્યું છે. એવામાં પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન ભારત સાથેની મેચોનો બૉયકોટ કરી શકે છે. નોંધનીય છે કે બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપ માટે ભારત આવવાનો ઈનકાર કર્યો હતો જે બાદ ICCએ બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું છે. પાકિસ્તાન ભારત સામેની મેચનો બહિષ્કાર કરે તેવી શક્યતા
આણંદના બાકરોલમાં યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષા ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધા 2025 (બહેનો)નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, આણંદ કચેરી દ્વારા આ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના 6 ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે કુલ 2 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. મેડલ વિજેતા ખેલાડીઓ આ ખેલાડીઓએ કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. તેમની તાલીમ અને પ્રયાસોથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશન દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વઢવાણમાં ધમાલગલીનું આયોજન:કડકડતી ઠંડીમાં શહેરીજનોએ બાળપણની રમતો માણી
સુરેન્દ્રનગર શહેરમાં 'ધમાલગલી-2026' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો, રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ મેટ્રો, ઇન્ટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને લિટલ સ્ટેપ સ્કૂલ દ્વારા મેક્સન ફાર્મા કંપની અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી 80 ફૂટ રોડ પર આવેલા ઘુઘરીપાર્કના મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કડકડતી ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં શહેરીજનો અને ખાસ કરીને બાળકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. સંગીતના તાલે ઝુમ્બા ડાન્સ કરીને લોકોએ ઉર્જા મેળવી હતી.વરિષ્ઠ નાગરિકોએ રસ્સાખેંચ, ભમરડા, લખોટી, કબડ્ડી અને ખો-ખો જેવી પરંપરાગત રમતો રમીને પોતાના બાળપણની યાદો તાજી કરી હતી.
પંચમહાલ ભાજપ કાર્યાલયે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ ધ્વજવંદન કર્યું
આજે દેશભરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા ગોધરા સ્થિત કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈના હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. પ્રમુખ મયંકભાઈ દેસાઈએ ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, જે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. ધ્વજવંદન બાદ મયંકભાઈ દેસાઈએ ઉપસ્થિત સૌ કાર્યકરોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું. આ ઉજવણીમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ફરી એકવાર રસ્તાઓ પર મોટા ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અકોટા - મુજમહુડા રોડ અને અકોટા ગાર્ડન નજીકના વિસ્તારોમાં બે મસમોટા અને ઊંડા ભુવા પડ્યા છે. આ ભુવાઓનો આકાર એવો જોખમી છે કે તે મોટા વાહનોને પણ ગળી શકે તેવા છે, જેના કારણે વાહનચાલકોને અચાનક અથડાવાનો ભય રહે છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકોટા વિસ્તારને 'ભુવા માર્ગ' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે છેલ્લા એક-દોઢ વર્ષમાં અહીં અનેક નાના-મોટા ભુવા પડી ચૂક્યા છે. આ વખતે સ્થાનિક નાગરિકોએ અનોખો વિરોધ કર્યો છે. બાળપણની યાદો તાજી કરતાં તેમણે ખાડામાં પથ્થરો નાખીને 'રમત' રમવાનું શરૂ કર્યું છે, જેથી તંત્રનું ધ્યાન દોરી શકાય અને તાત્કાલિક રિપેરનું કામ શરૂ થાય. આમ આદમી પાર્ટીના નેતા વિઠ્ઠલભાઈએ કટાક્ષમાં જણાવ્યું હતું કે, તાજ રેસીડેન્સી હોટલની બિલકુલ સામે બે મોટા મસ્ત ભુવા પડ્યા છે. સામાન્ય રીતે લોકો કોર્પોરેશનમાં ફરિયાદ કરતા હોય છે, પણ અમારી કોર્પોરેશન સામે કોઈ ફરિયાદ નથી, ઉલટાનું, અમને તો આજે આ ભુવા જોઈને બહુ જ આનંદ થયો છે. આ ખાડાઓ જોઈને અમને અમારા 20 વર્ષ પહેલાના દિવસો યાદ આવી ગયા. અમે નાનપણમાં ખાડામાં પથ્થરો ફેંકીને જે રમતો રમતા હતા, આજે આ ભુવા પાસે આવીને અમે ફરી એ જ જૂની રમતો રમી અને ખૂબ મજા માણી છે. અમને એવું લાગ્યું જાણે અમે ફરી 20 વર્ષના યુવાન થઈ ગયા હોઈએ! તેઓએ કહ્યું હતું કે, હું મ્યુનિસિપલ કમિશનરને ખૂબ-ખૂબ અભિનંદન આપવા માંગુ છું. તમારે આ ભુવા પૂરવા હોય તો ભલે પૂરો, પણ અમારી તો એવી ઈચ્છા છે કે તમે આને એમને એમ જ રહેવા દો. અમારે ફરી અહીં આવીને આ જૂની રમતો રમવી છે અને આનંદ લેવો છે. વિઠ્ઠલભાઈએ અત્યંત ધારદાર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, તંત્રની નિષ્ફળતાને કારણે પડેલા ખાડાઓ હવે બાળકોની રમતનું સાધન બની ગયા છે, જે કોર્પોરેશનની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.
ભાવનગર શહેરની એમ.કે. જમોડ હાઈસ્કૂલ ખાતે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડવા વ્યાયામ મંદિર ટ્રસ્ટ અને શાળાના પ્રમુખ તેમજ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પૂર્વ પ્રમુખ શૈલેશભાઈ જમોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પંકજભાઈ રાઠોડ અને અન્ય હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું સુશોભન કર્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો, નાટકો અને માઈમનો સમાવેશ થતો હતો.
ગોધરા પાસે બાઈક અકસ્માત, શહેરાના યુવાનને ગંભીર ઈજા:માથામાં ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ગોધરા-વડોદરા હાઈવે પર ચિખોદરા ચોકડી નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શહેરા તાલુકાના કાંકરી ગામના સંજય મકવાણા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સંજય મકવાણા પોતાની મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને કારણે સંજય બાઈક પરથી ફંગોળાઈ ગયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બનતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગોધરા ખાતે આવેલી મેડિકલ કોલેજ માન્ય સિવિલ હોસ્પિટલમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી, જેમાં મેડિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આશિષ ખરાડીએ આ પ્રસંગે તમામ સ્ટાફને ભેદભાવ ભૂલીને સેવા, કરુણા અને સમાનતા સાથે ગુણવત્તાસભર સારવાર આપવા અપીલ કરી હતી. તેમણે હોસ્પિટલને 'સેવાનું મંદિર' ગણાવ્યું હતું. ડો. ખરાડીએ તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ કર્મીઓને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે અમીર-ગરીબના ભેદભાવ વિના દરેક દર્દીને સમાન દ્રષ્ટિએ જોવાની હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સેવા અને કરુણાના ઉચ્ચ આદર્શો સાથે દર્દીઓની સારવાર કરવી જોઈએ અને દરેક જરૂરિયાતમંદ નાગરિકને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવું. કાર્યક્રમના અંતે, ડો. આશિષ ખરાડીએ સૌ કર્મચારીઓને બંધારણીય મૂલ્યોનું જતન કરવા અને રાષ્ટ્રના સ્વાસ્થ્ય નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ કરી હતી. આ ઉજવણીમાં હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓ, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગોધરાની સેન્ટ આર્નોલ્ડ હાઈસ્કૂલમાં 26 જાન્યુઆરી, 2026ના રોજ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ચિરાગભાઈ પરીખ (એડવોકેટ એસોસિએશનના પ્રમુખ) દ્વારા ધ્વજવંદનથી થઈ હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને દેશભક્તિ ગીત ગવાયું. આ પ્રસંગે શાળાના આચાર્ય બ્રધર કિશોર, મેનેજર ફાધર રાજા અને સિસ્ટર રોઝ મેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રગીત અને પ્રાસંગિક વક્તવ્ય દ્વારા દેશના બંધારણ અને દેશભક્તિની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સફળ બનાવી હતી.
શામળાજી સ્થિત એસ.જી. વિદ્યાલય ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના બાળકોએ પ્રભાત ફેરી કાઢી ગામમાં દેશભક્તિ ગીતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રભાત ફેરી બાદ શાળાના પટાંગણમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા ગણતંત્ર દિવસના મહત્વ પર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે.એલ. પટેલ અને શાળાના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગોપી મેડિકલ, શામળાજી દ્વારા બાળકોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ ઉપસ્થિત રહેવા બદલ સૌ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલી કન્યા સક્ષરતા નિવાસી શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે પ્રભાત ફેરીથી થઈ હતી. શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને સ્ટાફ દ્વારા તિરંગા ધ્વજ સાથે સાપુતારાના વિવિધ વિસ્તારોમાં પ્રભાત ફેરી યોજાઈ. વંદે માતરમ્ અને ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પ્રભાત ફેરી બાદ શાળા પરિસરમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું. ધ્વજવંદન અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમને ગૌરવપૂર્ણ રીતે આગળ વધારવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષિકા સેજલ પટેલે પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ભારતનું બંધારણ આપણને અધિકારો સાથે ફરજો પણ યાદ અપાવે છે. તેમણે વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં સતત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા આહવાન કર્યું. શિક્ષણ દ્વારા જ આત્મનિર્ભરતા અને સશક્તિકરણ શક્ય બને છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો અને સંક્ષિપ્ત રજૂઆતો કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ વખાણી. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ એકતા, સમર્પણ અને દેશપ્રેમની ભાવનાથી આ પર્વની ઉજવણી કરી. અંતે, મીઠાઈ વિતરણ સાથે ઉજવણીને વિરામ આપવામાં આવ્યો.
સુરેન્દ્રનગરમાં શિવાજી સેના દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. દુધરેજ ખાતે આવેલા રામદેવપીરની જગ્યામાં યોજાયેલા આ પ્રસંગે 10 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં સાધુ-સંતો અને વિવિધ સમાજના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. શિવાજી સેના દ્વારા કન્યાઓને કરિયાવરમાં 100થી વધુ ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવી હતી. રાજકોટના વિક્રમભાઈ સોરાણી, જે શિવાજી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં સર્વ જ્ઞાતિની દીકરીઓને પરણાવી કરિયાવર સાથે વિદાય આપવાનો સેવાભાવી ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગરના યુવા આગેવાન અને શિવાજી સેનાના પ્રદેશ પ્રમુખ અક્ષયભાઈ ધાડવી સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આયોજનમાં વિક્રમભાઈ સોરાણી, અક્ષયભાઈ ધાડવી, રમેશભાઈ ધોળકીયા, અજયભાઈ ધાડવી, અમિતભાઈ તુરખીયા, હિરેનભાઈ વડોદિયા, મેહુલભાઈ ડનીયા, જસરાજભાઈ વસતાણી, ધાર્મિકભાઈ દવે, ક્રિમાબેન શાહ, ગોપાલભાઈ મુંધવા (લગ્ન ગીત અને વિદાય ગીત સેવા), દુધરેજ રામદેવપીર મંદિરના ભૂવા ધરમભાઈ પનારા અને ગોવિંદભાઈ કમેજળીયા સહિત રામામંડળ, આનંદનગર સેવા ગ્રુપ, છત્રપતિ શિવાજી મંડળ અને દુધરેજ ગામ સમસ્તનો સહયોગ મળ્યો હતો.
આજે 77મા પ્રજાસત્તાક પર્વના અવસરે ગાંધીનગરના રામકથા મેદાનેથી પાટનગરના વિકાસને વૈશ્વિક વેગ આપતી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ ધ્વજવંદન બાદ ઘોષણા કરી હતી કે, ગાંધીનગરના કલોલ પાસે અંદાજે 13 હજાર કરોડના રોકાણ સાથે ઇન્ટરનેશનલ મેડિસિટીની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પ્રખ્યાત દુબઈ હેલ્થકેર સિટીની તર્જ પર વિકસાવવામાં આવશે. ગાંધીનગર મનપાનું બજેટ 7 કરોડથી વધીને 1700 કરોડે પહોંચ્યુંઆજે 77મા પ્રજાસત્તાક પર્વના અવસરે ગાંધીનગરની વિકાસગાથા રજૂ કરતા ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાનું બજેટ જે માત્ર 7 કરોડ હતું, તે આજે વધીને 1700 કરોડને પાર કરી ગયું છે. પેથાપુર-મહુડી રોડનું ફોરલેનિંગ અને સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બની રહ્યું છે. જિલ્લાના 1.56 લાખ લાભાર્થીઓને 31 કરોડથી વધુની મફત સારવારજિલ્લા વહીવટી તંત્રની સિદ્ધિઓ અંગે તેમણે ઉમેર્યું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ ગાંધીનગર જિલ્લાના 1.56 લાખ લાભાર્થીઓને આવરી લઈ 31 કરોડથી વધુની મફત સારવાર પૂરી પાડવામાં આવી છે. મહિલાઓના આર્થિક સ્વાભિમાન માટે ગંગા સ્વરૂપા સહાય યોજના હેઠળ 76.13 કરોડની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. યુવાનો માટે યોજાયેલા 45 ભરતીમેળા દ્વારા 3,386 ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. ગાંધીનગરને ભારતનું ‘મોડેલ ડિસ્ટ્રિક્ટ’ બનાવવા નાગરિકને અનુરોધ કર્યોડો. જયંતી રવિએ 2036 ઓલિમ્પિકના લક્ષ્ય સાથે બની રહેલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગિફ્ટ સિટીમાં વધી રહેલા વૈશ્વિક રોકાણનો ઉલ્લેખ કરી, ગાંધીનગરને ભારતનું ‘મોડેલ ડિસ્ટ્રિક્ટ’ બનાવવા દરેક નાગરિકને નિષ્ઠાપૂર્વક કામ કરવા અનુરોધ કર્યો હતો. દરેક કૃતિને 1100નું ઇનામ આપી બાળકોને બિરદાવવાઆ ઉજવણી દરમિયાન રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ઝુલ્ફીકાર ચૌહાણના નેતૃત્વમાં ગુજરાત પોલીસ, હોમગાર્ડ અને NCC કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ યોજવામાં આવી હતી. બોરીજ અને આદરજ મોટી પ્રાથમિક શાળાના બાળકોએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિનો માહોલ જગાડ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા દરેક કૃતિને 1100નું પ્રોત્સાહન ઇનામ આપી બાળકોને બિરદાવવામાં આવ્યા હતા.
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે છે. અડાલજ ખાતે આયોજિત એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણીભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની 200 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ‘સમૈયો મહામહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે મંત્રી વિશેષ ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કરશે. કાર્યક્રમની વિગતો આ મહોત્સવ 27 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 02:00 કલાકે યોજાશે. અડાલજના જમીયતપુરા રોડ પર આર વર્લ્ડ સામે આવેલા પર્વ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વાવ-થરાદમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્યના નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના મલુપુર ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું.વાયુદળે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી.. તો દિલધડક બાઈક સ્ટંટ શો જોઈ લોકો રોમાંચિત થઈ ઉઠ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 77માં પ્રજાસત્તાક પર્વની શહેરમાં ઉજવણી તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના મકરબામાં પોલીસ હેડક્વોર્ટરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કર્મીઓનું સન્માન કર્યું.. હાઈકોર્ટમાં ચીફ જજે રાષ્ટ્રધ્વજ ફરકાવી, ગાંધીજીને સુતરની આંટી પહેરાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ જગાવ્યું આકર્ષણ દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું.'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે, ગુજરાતના ટેબ્લોએ મેડમ ભીખાજી કામાને શ્રદ્ધાંજલિ આપી. ટેબ્લો મહાત્મા ગાંધીના શિલ્પ સાથે સમાપ્ત થાય છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2 વર્ષનું કામ 4 વર્ષે પણ પૂરું ન થયું -ધારાસભ્ય અમદાવાદની ખારીકટ કેનાલમાં પાણી છોડવા મુદ્દે આખરે બાબુ જમના પટેલે નિવેદન આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિમાન્ડ ન માગતા SITની ભૂમિકા પર સવાલ કોળી યુવક નવનીત બાલધિયા કેસમાં આરોપી માયા આહીરના દીકરા જયરાજ આહીર જેલમાં છે. જો કે એસઆઈટીએ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં પણ જયરાજના રિમાન્ડ ન માગ્યા.જેણે એસઆટીની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સમયસૂચકતાથી શ્વાન અને યુવક બંનેનો બચાવ જૂનાગઢના પાતાપુરમાં કૂતરાનો શિકાર કરવા ફેક્ટરીના ગેટ સુધી દોડી આવી..જો કે આ દરમિયાન એક યુવકે સમયસુચકતાથી ગેટ બંધ કરી દેતા તેનો આબાદ બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GSTની રેડ પડશે કહી નોકરે શેઠાણીને ડરાવ્યા સુરતના વેસુ -અલથાણ વિસ્તારમાં નોકરે કાપડ વેપારીના 70 લાખના સોનાની ચોરી કરી, જે પરત કરવા 54 લાખની ખંડણી માગી. માલિકની ધરપકડ થતા નોકરે શેઠાણીને હજુ જીએસટીની રેડ પડશે તેમ કહીને સોનુ સુરક્ષિત જગ્યાએ મુકવાની વાત કહી ચોરી કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં આગે 25 લોકોની છત-રોજીરોટી છીનવાઈ રાજકોટમાં આગની બે ઘટનામાં 25 લોકોની છત અને રોજી છીનવાઈ.. થોરાળામાં થોરાળામાં 15 ઝૂંપડા સામાન સહિત બળીને ખાખ થયા. તો એસ્ટ્રોન ચોક નજીક 10થી વધુ ફ્રુટની લારી સળગી ગઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દૂધમાં ઝેર આપી દઈ પતિની હત્યા કરીસુરતના લિંબાયતમાં પત્નીએ દૂધમાં ઝેર ભેળવી, ગળું દબાવી પતિની હત્યા કરી.. પતિના શારિરીક અત્યાચાર અને ક્રુરતાથી કંટાળી પત્નીએ હત્યા કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂનાગઢના કેશોદનો હચમચાવી નાખતો અકસ્માત જૂનાગઢના કેશોદમાં સોંદરડા જીઆઈડીસીમાં 140ની સ્પીડે આવતી કાર લોખંડની દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઈ.. અકસ્માતમાં શટર,દીવાલ અને ખાટલાના ફૂરચા નીકળી ગયા.. રવિવારે દુકાન બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન SIR ની કામગીરીની હલચલ વચ્ચે હવે મતદાર યાદી સુધારણાના મુદ્દે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ગામના અંદાજે 1800 મતદારો પૈકી 562 જેટલા મતદારો સામે બહારની વ્યક્તિઓ દ્વારા એકસાથે વાંધા અરજીઓ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરી રાખીને ગામના કાયમી અને જીવિત રહીશોના નામ મતદાર યાદીમાંથી કાપવાના કારસા રચવામાં આવી રહ્યા છે. 562 વાંધા અરજીઓ ગામ બહારની વ્યક્તિ દ્વારા કરાઈ હોવાનો આક્ષેપચંદ્રોડા ગામમાં આશ્ચર્યજનક રીતે આ તમામ 562 વાંધા અરજીઓ ગામના કોઈ રહીશ દ્વારા નહીં. પરંતુ બહારની વ્યક્તિ દ્વારા બેચરાજી મામલતદાર કચેરીમાં કરવામાં આવી છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે સત્તાધારી પક્ષના ઈશારે ગરીબ ખેડૂતો અને લઘુમતી સમાજના લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. 'ખોટા કારણો આગળ ધરીને ઘણા વોટ કાપી નાખ્યા'સ્થાનિક રહીશ નાગોરી અમીરખાન અને બનુભાઈના જણાવ્યા અનુસાર, ચંદ્રોડા એ લઘુમતી બહુમતી ધરાવતું ગામ છે. અહીં પેઢીઓથી ખેતી સાથે જોડાયેલા પરિવારો રહે છે. તેમ છતાં ‘સ્થળ બદલ્યું છે’ તેવા ખોટા કારણો આગળ ધરીને ચૂંટણી પંચ દ્વારા ઘણા વોટ કાપી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ પોતાના પૂર્વજોના સમયના દસ્તાવેજો રજૂ કરવાની પણ તૈયારી દર્શાવી છે. 'અરજીઓ આપીને અમારા લોકશાહીના અધિકાર પર તરાપ મારી'ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમારે આ મામલે તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રહલાદ પરમારે જણાવ્યું કે, જે લોકો વર્ષોથી ગામમાં સ્થાયી છે તેમના વિરુદ્ધ અજાણ્યા લોકોએ અરજીઓ આપીને લોકશાહીના અધિકાર પર તરાપ મારી છે. આ અન્યાય સામે ગ્રામજનોએ તાલુકા ચૂંટણી અધિકારીને મળીને રજૂઆત કરી છે અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાની પણ મુલાકાત લીધી છે. હાલમાં આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ખોટી રીતે નામ કપાશે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.
સંતરામપુર કોલેજમાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો:NCC પરેડ અને વાઈસ પ્રિન્સીપાલના હસ્તે ધ્વજારોહણ થયું
સંતરામપુરની આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે NCC કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી અને રાષ્ટ્રીય સલામી આપવામાં આવી હતી. કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો. દેવરાજ નંદાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગાન ગુંજ્યું હતું. કાર્યક્રમમાં સંવિધાનના મૂલ્યો, લોકશાહી અને રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં કોલેજનો સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામના સહયોગથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. NCC કેડેટ્સ અને કોલેજ વ્યવસ્થાપનના શિસ્તબદ્ધ આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે 15 જાન્યુઆરી, 2025 ના રોજ હત્યાની પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જે મુજબ 13 જાન્યુઆરીએ વસ્ત્રાપુરમાં આવેલા મોહિની ટાવરમાં આઠમા માળે રહેતા 75 વર્ષીય વૃદ્ધની ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમની પાસે રહેલા ઘરેણા, રોકડ રકમ અને આઇફોન લૂંટી લેવામાં આવ્યા હતા. આ કેસમાં હાઇકોર્ટે આરોપી મહિલાને જામીન આપવાનો ઇનકાર કરતા અરજી પરત ખેંચવામાં આવી હતી. કેનેડાથી આવેલા વૃદ્ધ વસ્ત્રાપુર ખાતે પોતાના ઘરે રોકાયા હતામૃતક કેનેડાના કાયમી રહેવાસી હતા. જેઓ વિઝા અને PR નું કામ કરતા હતા. તેઓ મૂળ કરમસદમાં રહેવાસી હતા. સમયાંતરે તેઓ ભારત આવતા હતા. તેઓ એક મીટિંગ અર્થે વસ્ત્રાપુર ખાતે પોતાના ઘરે રોકાયા હતા. જ્યારે તેમની પત્ની કરમસદ હતી. ઘણો સમય પતિ ઘરે ન આવતા પત્નીએ તેમને ફોન કર્યો હતો. પરંતુ તેઓ ફોન નહોતો ઉપાડયો. આથી પત્ની ગાડી લઈને કરમસદથી અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના ઘરે આવી પહોંચી હતી. અમદાવાદ કોર્ટે જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અપીલઘરમાં વૃદ્ધ મૃત અવસ્થામાં પડ્યા હતા. જ્યારે કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ થઈ ચૂકી હતી. વૃદ્ધના ગળે ઇજાના નિશાનો હતા. પત્ની 108માં ફોન કરતા ફરજ પરના મેડિકલ ઓફિસરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી નિલોફર શેખની ધરપકડ કરી હતી. અમદાવાદ અમદાવાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જો કે, હાઇકોર્ટે આરોપી મહિલાને જામીન આપવાનો ઇનકાર કરતા અરજી પરત ખેંચવામાં આવી હતી.
મોડાસા-1 તાલુકા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી એક વિશિષ્ટ સંદેશ સાથે યોજાઈ હતી. 'દીકરીની સલામ દેશને નામ' કાર્યક્રમ હેઠળ, શાળાના ધોરણ-1માં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીની મહેક પરમાર દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગીતો, નૃત્ય અને સંદેશાત્મક પ્રસ્તુતિઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ, સમાનતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને શાળાના તમામ સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભાવેશભાઈ પ્રજાપતિ અને મમતાબેન પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દીકરી સશક્તિકરણ અને રાષ્ટ્રગૌરવનો સંદેશ આપનારી બની રહી.
ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે લુખ્ખાગિરી કરતા યુવકને કાયદાના પાઠ ભણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના ત્રિમૂર્તિ હોલ નજીક શક્તિનાથ સ્થિત સાબુગઢ પાસે ગતરોજ નશાની હાલતમાં એક યુવક જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી કરતો ફરતો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. નશાખોર યુવક જાહેરમાં અપશબ્દો ભાંડતો લોકોને ભયભીત કરી રહ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર સાથે નંગી દાદાગીરી કરતી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ મામલો વધુ ગંભીર બન્યો હતો. કાયદો હાથમાં લેવાની કોશિશ કરનાર આવા તત્વો સામે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મામલાની જાણ થતા જ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને નશાખોર યુવક નિલેષ અમરસિંગ રાઠોડને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.આરોપી સામે ગુજરાત પોલીસ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો .છે કે શહેરમાં કાયદો-વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર કોઈપણ તત્વને બખ્શવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરની શાંતિ અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો ખેલ સહન કરવામાં આવશે નહીં.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસ નડગચોંડ ગામની પ્રાથમિક શાળા ખાતે ઉજવાયો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પ્રભાત ફેરીથી થઈ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનો તિરંગા ધ્વજ સાથે 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્' જેવા નારા લગાવતા નડગચોંડ ગામના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. પ્રભાત ફેરી બાદ શાળા પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. વઘઈના મામલતદારે તિરંગાને ધ્વજવંદન કર્યું. ધ્વજવંદન પછી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, જેમાં તમામ ઉપસ્થિતોએ ભાગ લીધો. ત્યારબાદ વઘઈ મામલતદારે પોતાના સંબોધનમાં પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવ્યું. તેમણે ભારતીય બંધારણના મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને નાગરિક ફરજોની મહત્વતા પર ભાર મૂક્યો. મામલતદારે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને દેશપ્રેમ વિકસાવવા પ્રેરણા આપી. આ પ્રસંગે માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વઘઈ તાલુકા ઓફિસ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, તાલુકાની વિવિધ શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મોરબીમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:કમિશનર સ્વપ્નિલ ખરેએ ધ્વજવંદન કર્યું, વેબસાઈટ-એપ લોન્ચ
મોરબી મહાનગરપાલિકા દ્વારા રાણીબાગ મણિમંદિર ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ધ્વજવંદન કર્યું હતું. આ ઉજવણીમાં મહાનગરપાલિકાની નવી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. કમિશનર સ્વપ્નિલ ખરેએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 1 જાન્યુઆરી, 2025ના રોજ મોરબી અને આસપાસના વિસ્તારોને સમાવીને તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. મહાનગરપાલિકા કાર્યરત થયાના પ્રથમ દિવસથી જ શહેરીજનોની સુખાકારી માટે વિકાસ કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે રોડમેપ તૈયાર કરીને આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે. મોરબીની આગવી ઓળખ ઊભી થાય તેવા અનેક પ્રોજેક્ટ્સ હાલ કાર્યરત છે. ડિજિટલ પહેલના ભાગરૂપે, લોન્ચ કરાયેલી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા નાગરિકો વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. શહેરમાં સુગમ પરિવહન માટે રૂ. 266 કરોડના ખર્ચે કુલ ત્રણ બ્રિજનું નિર્માણ થશે. આમાં ગુજરાત રાજ્યનો ચોથો કેબલ બ્રિજ મોરબીને મળશે, જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીના નહેરુ ગેટ અને રાણીબાગ મણિમંદિરને તિરંગાની થીમથી સુશોભિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા આ અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેથી તિરંગાની લાઇટિંગ થીમનો આ નજારો નિયમિતપણે જોવા મળશે. આ કાર્યક્રમમાં ઈ-ગવર્નન્સમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને ઉત્કૃષ્ટ સફાઈ કામદારોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું સમાપન વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મોરબીને પ્રદૂષણમુક્ત અને હરિયાળું બનાવવાનો સંદેશ આપે છે. આ પ્રસંગે કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા (વ), નાયબ કમિશનર સંજય કુમાર સોની, મનપાની વિવિધ શાખાના અધ્યક્ષો, કર્મચારીઓ અને શહેરના વિવિધ સંસ્થાકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક દિનની ઉજવણી:સાંદિપની વિદ્યાલયમાં મિલેટ્રીના જવાન સોનગરા સંજયભાઈએ ધ્વજવંદન કર્યું
ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યાલય ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના પૂર્વ વિદ્યાર્થી અને હાલ રાજસ્થાન બોર્ડર પર મિલેટ્રીમાં ફરજ બજાવતા સોનગરા સંજયભાઈએ ધ્વજવંદન કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના નાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રી હરેશભાઈ ધાધલ, આચાર્ય શ્રી જીગ્નેશભાઈ મેર અને સમગ્ર સાંદિપની પરિવારે જહેમત ઉઠાવી હતી.
રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી આજે બપોરે શ્રમિક દંપતીની 8 વર્ષની પુત્રીનું ભરત મગન મકવાણા (ઉ.વ.45) અપહરણ કરી જતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે કોઠારીયા સોલવન્ટ નજીકના વિસ્તારમાંથી ભરતને ઝડપી પાડી અપહૃત બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી ભરતની પત્ની બે દીકરીઓ સાથે ઘણાં સમયથી રિસામણે છે જેના કારણે તે એકલો રહેતો હતો અને બદકામ કરવા ઈરાદે જ તેણે અપહરણ કર્યાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત તરફનું દંપતી છેલ્લા ઘણાં સમયથી રાજકોટમાં રહી મજુરી કામ કરે છે જેને સંતાનમાં બે દીકરી છે. જેમાંથી 8 વર્ષની નાની દીકરીને લઈ ગઈકાલે સવારે કડિયા કામની મજુરી માટે રૈયાધાર પરની સાઈટે પહોંચ્યા હતા. બપોરે દીકરી સાથે જમ્યા હતા ત્યારબાદ કામે વળગી ગયા હતા. તેમની દીકરી મકાનની અંદર રમતી હતી દરમિયાન આરોપી ભરત ત્યાં આવ્યો હતો જેના કારણે ત્યાં કડીયા કામ કરનારે તેને જતા રહેવાનું કહ્યું હતું જેથી ભરત ત્યાંથી બાળકીને ઉપાડી બહાર પહોંચ્યો હતો. બહારથી એક રિક્ષામાં બાળકીને લઈ રવાના થઈ ગયો હતો. થોડીવાર પછી માતા-પિતાએ પુત્રીને ગાયબ જોઈ હતી તે વખતે સાઈટ પરના અમુક લોકો પાસેથી ભરત તેમની દીકરીને લઈ ગયાની માહિતી મળતા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ભરતનો મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે તાત્કાલિક પોલીસે તેને કોઠારીયા સોલવન્ટ પાસેના રસુલપરા વિસ્તાર પાસેથી ઝડપી પાડયો હતો અને બાળકીને મુક્ત કરાવી પરિવારને સોંપી હતી. આરોપીએ બાળકી સાથે અડપલાં કર્યા હતા ઉલ્લેખનીય છે કે આરોપી બાળકી સાથે કોઈ દુષ્કૃત્ય કરે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો જો કે પોલીસ તપાસમાં આરોપીએ બાળકી સાથે અડપલાં કર્યા હોવાનું સામે આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરની પી.જે. વિદ્યાસંકુલમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના એમ.ડી. અનિલભાઈ સોલંકી અને સંચાલક કુલદીપભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી ધ્રુવરાજભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ દેશ પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીમાં શાળાના સ્ટાફ સભ્યો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીએ સઘન પ્રયાસો કર્યા હતા.
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં સેવાદળના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને પ્રદેશ સેવાદળના મંત્રી રણછોડભાઈ પરમારે ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતીય બંધારણના નિર્માતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમેલસિંહ પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટ, પૂર્વ શહેર પ્રમુખ ઇશ્વરભાઈ અને મહેન્દ્રસિંહ, જિલ્લા સંગઠન મહામંત્રી ઈશાકભાઈ શેખ, હિંમતનગર તાલુકા પ્રભારી દશરથસિંહજી, ફરિયાદ સેલના ચેરમેન કુમાર ભાટ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી અકીલ શેખ, પૂર્વ કોર્પોરેટર સાજેદાબેન, મહેશભાઈ પરમાર, સેવાદળ મંત્રી સત્તારભાઈ મન્સૂરી, ભીખાભાઈ પટેલ, શશીકાંતભાઈ પંડ્યા, મોહસીનખાન બલોચ, જાલમસિંહ, કાંતિભાઈ ગામેતી, હીરસિંહ ગઢા, સંજયભાઈ વાઘેલા, લિયાકતભાઈ મન્સૂરી, કિશનસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સેવાદળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ ભારતના બંધારણમાં સમાવિષ્ટ લોકશાહી, સમાનતા, સામાજિક ન્યાય અને ભાઈચારાના મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌતમકુમાર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીનો પ્રારંભ રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી થયો હતો. નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌતમકુમાર મકવાણાએ સૌને 77મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, 26 જાન્યુઆરી એ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ તે આપણા સ્વતંત્રતા સેનાનીઓના અમર બલિદાનનું પ્રતીક છે. તેમણે મહાત્મા ગાંધી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર જેવા મહાનુભાવોના યોગદાનને યાદ કર્યા હતા, જેમણે દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકારો પ્રદાન કરે છે. ગૌતમકુમાર મકવાણાએ ગુજરાત સરકારના મહત્વના નિર્ણય પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, 1 જાન્યુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે. તેમણે ઉમેર્યું કે, આ રૂપાંતર બાદ એક વર્ષમાં શહેરી વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મહાનગરપાલિકામાં આસપાસના ગામોનો સમાવેશ થવાથી વહીવટી કાર્યક્ષમતા વધી છે અને વિકાસને નવો વેગ મળ્યો છે. આ ઐતિહાસિક અવસરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ફાયર અને ઈમરજન્સી સર્વિસિસના જવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગર RPF કચેરીમાં ઇન્સ્પેક્ટર શિવનાથ મીનાએ ધ્વજવંદન કરાવ્યું હતું. સબ ઇન્સ્પેક્ટર હરેશ ચૌહાણના નેતૃત્વમાં પરેડ યોજાઈ હતી. જેમાં RPF, GRP અને રેલવેના કર્મચારીઓએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી સન્માન કર્યું હતું. આ ઉપરાંત, હિંમતનગર રેલવે સ્ટેશન પર પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અહીં સ્ટેશન મેનેજર રૂપસિંહ મીના સહિત રેલવેના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ધ્વજને સલામી આપી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરનો શુભેચ્છા સંદેશો પણ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બંને સ્થળોએ RPF અને GRP પરેડનું નેતૃત્વ RPFના PSI હરેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડૉ. આંબેડકર શાળામાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી:ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું
આજરોજ, 26 જાન્યુઆરી, 2026 ના રોજ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ડૉ. આંબેડકર પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 'દીકરીની સલામ દેશને નામ' થીમ હેઠળ, શાળાની ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીની ઉમિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, કવિતાઓ, નારા અને વક્તવ્યો રજૂ કરીને કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકા સભ્યો શાંતિલાલ સોલંકી અને વિઠ્ઠલભાઈએ બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને પ્રેરણાદાયી શબ્દો કહ્યા હતા.શાળાના આચાર્ય કીર્તિકાબેને મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રેરણા તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, શાળામાં નવા જન્મેલા બાળકોનું સ્મૃતિપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સાથે બેઠક યોજીને શાળાના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકો, વાલીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આભારવિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
મોડાસાની પંડ્યાવાસ પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય ગીતાબેન પટેલ, શાળા સ્ટાફ અને SMC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બાળકો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં આ આયોજનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
દેશના 77મા પ્રજાસત્તાક પર્વની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાની જનરલ હોસ્પિટલે જનસેવાના ભાવ સાથે આ દિવસને યાદગાર બનાવ્યો છે. સિવિલ સર્જન ડૉ. ગોપી પટેલના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ ખાતે એક ભવ્ય મેગા સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં 268 જેટલી માઈનોર સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો હાજર રહ્યાંઆ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી, મહેસાણાના સાંસદ હરિ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય મુકેશ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસ.પી. તથા આર.કે.એસ. કમિટીના સભ્યો અને અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપી આરોગ્યલક્ષી આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. ધ્વજવંદન બાદ સર્જરી કેમ્પનો પ્રારંભદિવસની શરૂઆત હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ સાથે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. જે બાદ સર્જરી કેમ્પનો પ્રારંભ થયો હતો. આ કેમ્પમાં કાનની બુટ, રસોડી, ચરબીની ગાંઠ, મસા, કપાસી, સીસ્ટ અને આંખના મોતિયા જેવી વિવિધ બીમારીઓનું નિદાન અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 10થી વધુ સર્જનો અને અંદાજે 100 જેટલા પેરામેડિકલ સ્ટાફના સભ્યોએ 5 ઓપરેશન થિયેટરોમાં સતત કાર્યરત રહીને સેવાઓ આપી હતી. દરેક દર્દીને એક છોડ આપવામાં આવ્યોહોસ્પિટલ તંત્ર દ્વારા માત્ર સારવાર જ નહીં પરંતુ દર્દીઓ માટે નાસ્તા અને જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વડાપ્રધાનની ‘એક પેડ મા કે નામ’ મુહિમને સાર્થક કરતા, દરેક દર્દીને રજા આપતી વખતે એક વૃક્ષનો છોડ, જૂટ બેગ અને ફર્સ્ટ-એઈડ કિટ ભેટ સ્વરૂપે આપી પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. સગર્ભા અને ધાત્રી માતાઓના ચેકઅપ માટે ‘માતૃ રથ’ હોસ્પિટલને અર્પણ આ પ્રસંગે એક મહત્વની સુવિધાનો પણ ઉમેરો થયો હતો. રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા ફાલ્કન ગ્રુપના સૌજન્યથી સગર્ભા અને ધાત્રી માતાઓના ચેકઅપ માટે ‘માતૃ રથ’ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ રથનું સંચાલન લાખવડના ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવશે, જે આગામી સમયમાં જિલ્લાની માતાઓના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
India US Trade Deal : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે, ત્યારે હવે તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદ ટેડ ક્રૂઝનો ‘ટ્રમ્પ વિરોધી ઓડિયો’ લીક થતાં ખળભળાટ મચી ગયો છે. રિપબ્લિકન પાર્ટીના જ કોઈ આંતરિક સૂત્ર દ્વારા લીક કરવામાં આવેલો આ 10 મિનિટનો ઓડિયો વર્ષ 2025ની શરૂઆતનો હોવાનું મનાય છે. આ વાતચીત દરમિયાન ટેડ ક્રૂઝ કેટલાક પ્રાઈવેટ ડોનર્સ સાથે વાતચીત કરી રહ્યા હતા, જેમાં તેમણે પોતાને મુક્ત વ્યાપારના સમર્થક અને હસ્તક્ષેપ વિરોધી રિપબ્લિકન તરીકે રજૂ કર્યા છે. .

24 C