સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે પોલીસ લાઈન આગળથી રૂ. 4.77 લાખના 9.548 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 8.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ચાર વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પોલીસ વોચ રાખી રહી હતી. હેમેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે, પોશીના પોલીસ લાઈન આગળ રોડ પરથી એક બોલેરો જીપમાં ગાંજો લઈ જતા શખ્સોને અટકાવવામાં આવ્યા હતા. બોલેરો જીપની તપાસ કરતાં તેમાંથી 9.548 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 4,77,400 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 6,500 ની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રૂ. 4 લાખની કિંમતની સફેદ કલરની બોલેરો જીપ (રજી.નં. GJ 02 EK 3508) પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ રૂ. 8,83,900 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામનો રાકેશભાઈ લવજીભાઈ ચૌધરી (ઉ.વ. 32), ખેરાલુ તાલુકાના સમોજા ગામનો મેહુલભાઈ ગોવાભાઈ ચૌધરી (ઉ.વ. 31) અને ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામનો યોગેદાસ ગુરુ સેવકદાસજી નિર્મોહી અખાડા (ઉ.વ. આશરે 60) નો સમાવેશ થાય છે. આ કેસમાં દેલવાડાનો કાન્તીભાઈ નામનો એક આરોપી હજુ ફરાર છે, જેનું પૂરું નામઠામ જાણી શકાયું નથી. પોશીના પોલીસે NDPS એક્ટ મુજબ ફરિયાદ નોંધીને આગળની તપાસ ખેરોજ પોલીસને સોંપી છે.
સાપુતારામાં પર્યટન પર્વ 2025-26 નો પ્રારંભ:ડાંગી નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગિરિમથક જીવંત બન્યું
સાપુતારા, રાજ્યના એકમાત્ર ગિરિમથક ખાતે ‘પર્યટન પર્વ 2025-26’નો પ્રારંભ થયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ પર્વ પ્રવાસન ક્ષેત્રે રાજ્ય સરકારની સિદ્ધિઓ અને સાપુતારાના વિકાસને રજૂ કરે છે. પોતાના સંબોધનમાં વિજયભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા અઢી દાયકામાં સાપુતારાનો નોંધપાત્ર વિકાસ થયો છે. પ્રવાસન સ્થળોના માળખાકીય સુવિધાઓ અને અન્ય સવલતો મજબૂત બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે 12 લાખથી વધુ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી, જે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે ડાંગ જિલ્લાના ગીરા ધોધ, પાંડવા ગુફા, ડોન હિલ, મહાલ ઇકો કેમ્પ સાઈટ, શબરીધામ અને પંપા સરોવર જેવા પ્રવાસન સ્થળોના વિકાસનો ઉલ્લેખ કર્યો. પ્રવાસીઓની સુખાકારી અને સુરક્ષા માટે પ્રવાસન વિભાગ તથા સાપુતારા એરિયા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી સતત સજાગ હોવાનું પણ તેમણે જણાવ્યું. રાજ્યમાં પ્રવાસન વિકાસ માટે કરાયેલ આયોજન, માર્કેટિંગ અને બ્રાન્ડિંગના પરિણામે ગુજરાત આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. સાપુતારામાં વર્ષ 2009થી મોન્સૂન, વિન્ટર, સમર અને કાઈટ ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલો પ્રવાસીઓને મનોરંજનની સાથે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ પૂરો પાડે છે. વર્તમાન પર્યટન પર્વ દરમિયાન પણ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું હતું. પર્યટન પર્વ 2025-26 દરમિયાન ડાંગી આદિવાસી નૃત્ય, મણિયારો રાસ, મેજિક શો, અઘોરી મ્યુઝિક અને ઓર્કેસ્ટ્રા જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવૉડે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ખેડા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. પંચમહાલ રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ હતી. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ), ૬૫(ઈ), ૮૧, ૯૮(૨) હેઠળ ગુનો (સી પાર્ટ નં-૧૦૫૧/૨૦૨૫) નોંધાયો હતો. આ ગુનામાં વિષ્ણુભાઇ પ્રવિણસિંહ ડાભી (રહે. પીઠઈ, તા. કઠલાલ, જી. ખેડા) અને મંગળભાઈ ઉર્ફે લાલો મણીભાઈ બારૈયા (રહે. રૂદન, તા. મહેમદાવાદ, જી. ખેડા) નામના બે આરોપીઓ ફરાર હતા. પેરોલ ફર્લો સ્કવૉડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે આ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ટીમના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈએ ટેકનિકલ એનાલીસીસ અને બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મેળવી હતી કે આરોપીઓ રૂદન અને પીઠઈ વિસ્તારમાં છુપાયેલા છે. આ માહિતીના આધારે, પંચમહાલ પેરોલ ફર્લો સ્કવૉડે તાત્કાલિક દરોડો પાડી બંને આરોપીઓને તેમના વતન ખાતેથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.
કાલંત્રામાં પરણિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ:108 અને ગોધરા સિવિલના તબીબોએ જીવ બચાવ્યો
કાલોલ તાલુકાના કાલંત્રા ગામમાં એક પરણિતાએ પારિવારિક ઝઘડાથી કંટાળી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, 108 એમ્બ્યુલન્સ સેવા અને ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોની સમયસરની સારવારને કારણે તેમનો જીવ બચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કાલંત્રા ગામની આ પરણિતાએ પોતાના ઘરે પારિવારિક ઝઘડાના કારણે ખેતીમાં વપરાતી જંતુનાશક દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી. તેમની ગંભીર હાલત જોતા, તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ઝેરની અસર વધુ હોવા છતાં, તબીબોની કુશળતા અને સમયસરની દખલગીરીને કારણે પરણિતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
મિસિસિપી શહેરમાં સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી હતી, જેમાં છ લોકોના મૃત્યુ થયા છે. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ અલગ-અલગ 3 જગ્યાએ ગોળીબાર કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટે ફેસબુક પર ઘટનાની અંગેની વિગતો આપી છે. તેમણે લખ્યું હતું કે, કમનસીબીની વાત છે કે આપણા સમુદાયમાં એક મોટી દર્દનાક ઘટના બની છે. હિંસાને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાઓ વેસ્ટ પોઈન્ટમાં ત્રણ જગ્યાએ ગોળીબારીની ઘટના બની હતી. ઘટનામાં સામેલ વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધો છે. મિસિસિપીના ઉત્તર-પૂર્વમાં સ્થિત ક્લે કાઉન્ટીની વસ્તી આશરે 20,000 છે. ધ એસોસિએટેડ પ્રેસ'ના અહેવાલ મુજબ, આ ગોળીબાર અલબામા સરહદ પાસે આવેલા વેસ્ટ પોઈન્ટમાં થયો હતો. શેરિફ સ્કોટે NBC ન્યૂઝને જણાવ્યું હતું કે આ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી કેટલાક શૂટરના સંબંધીઓ હતા. નોંધનીય છે કે, ગયા વર્ષના ઓક્ટોબરમાં પણ મિસિસિપીમાં આ જ પ્રકારની ઘટનાઓ બની હતી. ઓક્ટોબર મહિનામાં થયેલી આ ગોળીબારની ઘટનાઓ કથિત રીતે હાઈસ્કૂલ ફૂટબોલ રમતો સાથે જોડાયેલી હતી. મિસિસિપીના ઉત્તર-પશ્ચિમ શહેર લી માં આવા જ એક હુમલામાં છ લોકોની હત્યા કરવામાં આવી હતી અને 12 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ હજુ સુધી ગોળીબારના ચોક્કસ કારણો વિશે કોઈ માહિતી આપી નથી, કે પીડિતોની ઓળખ જાહેર કરી નથી.
અમેરિકાના મિસિસિપીમાં સામૂહિક ગોળીબાર, 6 લોકોના મોત, શંકાસ્પદની ધરપકડ
Mass Shooting in America: અમેરિકાના મિસિસિપીમાં ત્રણ મહિનામાં બીજી વખત ગોળીબાર થયો છે. મિસિસિપીમાંમધ્યરાત્રે થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. ગોળીબાર કરનારની ધરપકડ કરી લેવાઈ છે. સ્થાનિક સમાચાર એજન્સીઓ અને પોલીસ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે આ વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. NBC ન્યૂઝ સાથે સંકળાયેલ WTVAના અનુસાર, શંકાસ્પદે ત્રણ અલગ અલગ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. ક્લે કાઉન્ટી શેરિફ એડી સ્કોટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'શંકાસ્પદ કસ્ટડીમાં છે અને હવે તે આપણા સમુદાય માટે ખતરો નથી.
સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં આવેલા પોલારીસ મોલની જાણીતી 'ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા લેબોરેટરી'માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સુરતની જાણીતી એથર કંપનીમાં કામ કરતો સિનિયર કેમિસ્ટ ફોરેક્સ ટ્રેડિંગના સટ્ટામાં 3 લાખ રુપિયા હારી ગયો હતો, જેનો ફાયદો ઉઠાવીને લંડન બેઠેલા જનક જાગાણીએ તેની પાસે હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં વપરાતું 'બ્લુ મેફેડ્રોન' ડ્રગ્સ તૈયાર કરાવ્યું હતું. લેબની માલિકને અંધારામાં રાખીને માસ્ટમાઈન્ડ જનક અને સિનિયર કેમિસ્ટ બ્રિજેશે મોલમાં ડ્રગ્સની આ સિક્રેટ ફેક્ટરી ઊભી કરી દીધી હતી. બ્રિજેશ દેવુ ચૂકવવાની ચિંતામાં 'ડબલ લાઈફ' જીવતોપોલીસની પૂછપરછ દરમિયાન મળેલી માહિતી મુજબ આરોપી જાણીતી કંપનીનો સિનિયર લેબ ટેકનિશિયન બ્રિજેશલાલ ભાલોડિયા માસ્ટર ઓફ કેમિસ્ટ્રીની ડિગ્રી ધરાવે છે. ટેક્નિશિયન તરીકે તેની સેલેરી માત્ર 30 હજાર જ હતી, જેમાં તે પોતાના ખર્ચાઓની ચૂકવણી કરી શકતો નહોતો. ફોરેક્સ ટ્રેડિંગના સટ્ટામાં તેને 3,00,000નું નુકસાન થયું હતું, જેની ભરપાઈ કરવા માટે તે કમાણીનો નવો રસ્તો શોધી રહ્યો હતો. માથે દેવુ હોવાના કારણે ડ્રગ્સ બનાવવા તૈયાર થઈ ગયો આ વાતની જાણ લંડનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ જનક જાગાણીને થઈ અને તેણે તુરંત જ બ્રિજેશની આ આર્થિક સ્થિતિનો લાભ લઈને તેને ઈશા અનગણની લેબમાં ડ્રગ્સ તૈયાર કરવા માટે લલચાવ્યો હતો. માથે દેવુ હોવાના કારણે બ્રિજેશ પણ તુરંત જ માસ્ટરમાઈન્ડની ઓફરમાં લલચાઈ ગયો અને તે જનક માટે ડ્રગ્સ બનાવવા તૈયાર થઈ ગયો હતો. આ કેસની સૌથી કાળી બાજુ એ છે કે, બ્રિજેશ દેવુ ચૂકવવાની ચિંતામાં 'ડબલ લાઈફ' જીવી રહ્યો હતો. તે દિવસ દરમિયાન સચિનની કેમિકલ કંપનીમાં પ્રામાણિકતાથી નોકરી કરતો પણ જેવી રાત પડતી એટલે તે ટેક્નિશિયનમાંથી ડ્રગ્સ મેકર બની જતો. રિસર્ચના નામે લેબ માલિક પાસેથી જગ્યા ભાડે લીધીતપાસમાં બહાર આવ્યું છે કે, બ્રિજેશે આ લેબનો ઉપયોગ કરવા માટે ભારે ચતુરાઈ વાપરી હતી. લંડનમાં રહેતા માસ્ટરમાઈન્ડ જનક જાગાણીએ લેબની માલિક ઈશા અનગણને એવું કહીને મનાવી હતી કે, બ્રિજેશ ફ્યુલ મશીનરી પર રિસર્ચ કરી રહ્યો છે. ઈશા દિલ્હીમાં એક્ઝિબિશનમાં ગઈ હતી તેનો ફાયદો ઉઠાવીને બ્રિજેશે માત્ર 7 બાય 12 ફૂટની નાની જગ્યામાં મિનિ ડ્રગ્સ ફેક્ટરી ઊભી કરી દીધી હતી. છેલ્લા બે મહિનામાં તે પાંચથી વધુ વાર મોડી રાત્રે અહીં આવ્યો હતો અને ઓર્ડર મુજબ ડ્રગ્સના કન્સાઈનમેન્ટ તૈયાર કર્યા હતા. બ્રિજેશ ડ્રગ્સ તૈયાર કરીને પેડલરને આપતોઆ ડ્રગ્સની ખાસિયત એ હતી કે, તે ગોવાની હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં સપ્લાય થતું અત્યંત શુદ્ધ 'બ્લુ ક્રિસ્ટલ' હતું. બ્રિજેશ તેની કેમિસ્ટ્રીની જાણકારીનો ઉપયોગ આ રેર ડ્રગ્સ બનાવવામાં કરતો હતો. લેબમાં ફૂડ ટેસ્ટિંગના સાધનોની આડમાં આ ઘાતક ખેલ ખેલાતો રહ્યો. બ્રિજેશ જ્યારે આ માલ તૈયાર કરી લેતો ત્યારે જનકના બે સાગરીતો ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે ભાણો તેની પાસેથી ડિલિવરી લેવા આવતા હતા, જેઓ આગળ જઈને જીલ ઠુમ્મર નામના પેડલરને આ માલ પહોંચાડતા. કેમિસ્ટ્રીનું જ્ઞાન જેલના સળિયા પાછળ લઈ ગયુંપોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે ઘટનાસ્થળેથી 12.950 ગ્રામ બ્લ્યુ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રગ્સ એટલું પ્યોર હતું કે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લાખોમાં થાય છે. આ સાથે જ ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ અને રો-મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દેવા નીચે દબાયેલા બ્રિજેશે રાતોરાત અમીર બનવા માટે આ રસ્તો પકડ્યો હતો, પરંતુ કેમિસ્ટ્રીનું તેનું જ્ઞાન તેને જેલના સળિયા પાછળ લઈ ગયું. માસ્ટરમાઈન્ડ અને લેબની માલિક કોલેજ ફ્રેન્ડ હતાપોલારીસ મોલમાં ડ્રગ્સ બનાવવાના કેસમાં લેબની માલિક ઈશા અનગણે દિલ્હીથી પરત ફર્યા બાદ SOG સમક્ષ હાજર થઈને આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો છે કે, આ સમગ્ર ષડયંત્ર લંડન બેઠેલા તેના કોલેજના જૂના મિત્ર જનક જાગાણીએ રચ્યું હતું. ઈશાએ જણાવ્યું કે, જનક સાથે કોલેજના સમયથી જૂની ઓળખાણ હોવાથી તેણે તેની વાત માની લીધી અને તેના મિત્ર બ્રિજેશલાલ ભાલોડિયાને લેબમાં ફ્યુલ મશીનરી પર રિસર્ચ માટે થોડી જગ્યા ભાડે આપવા સંમત થઈ ગઈ હતી. ફૂડ ટેસ્ટિંગના સાધનોનો ગેરલાભ ઉઠાવ્યો વધુમાં તેણે જણાવ્યું કે, હું દિલ્હીમાં એક્ઝિબિશન માટે ગઈ હોવાથી તેને ખબર જ નહોતી કે બ્રિજેશ લેબનો ઉપયોગ રાત્રિના સમયે 9 વાગ્યે આવીને માત્ર 7 બાય 12 ફૂટની નાની જગ્યામાં બેસીને ઘાતક 'બ્લુ મેફેડ્રોન' ડ્રગ્સ બનાવવા માટે કરી રહ્યો છે, જેની આડમાં તેણે ફૂડ ટેસ્ટિંગના સાધનોનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ઈશાએ સ્પષ્ટતા કરી છે કે, તેણે માત્ર મિત્રતા અને માનવતાના ધોરણે જગ્યા આપી હતી અને તેને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કોઈ જાણકારી નહોતી.
બાલાસિનોરમાં કતલખાને લઈ જવાતી ગાયને પોલીસે બચાવી:છોટા હાથીમાંથી ગાયને છોડાવી, એક આરોપી ઝડપાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પોલીસે કતલખાને લઈ જવાતી એક ગાયને બચાવી લીધી છે. ભાંથલા ચોકડી રોડ પરથી એક છોટા હાથી વાહનમાં ગાયની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાએ કતલખાને લઈ જવાતા પશુઓ અને ગૌવંશની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે પોલીસને સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન. નિનામાના માર્ગદર્શન હેઠળ ટીમો તપાસ કરી રહી હતી. બાતમીના આધારે, બાલાસિનોર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ભાંથલા ચોકડી રોડ પર વોચમાં હતો. તે દરમિયાન GJ-07-TU-2208 નંબરના એક છોટા હાથી વાહનને રોકવામાં આવ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાંથી એક ગાય મળી આવી હતી. પોલીસે વાહનચાલકને પકડી લીધો હતો. પોલીસે 80,000 રૂપિયાની કિંમતનું છોટા હાથી વાહન અને 10,000 રૂપિયાના બે મોબાઈલ ફોન સહિત કુલ 95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાલાસિનોર ટાઉન પોલીસે પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવાના કાયદા 1960ની કલમ 11 ડી.ઈ.એફ., ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ 2011 અને 2017ની કલમ 7 ક (1), (3), (4) અને 8(4) તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5(1) અને 5(1-ક) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વિનુ જેસંગભાઈ ભરવાડ (ઉંમર 55, રહે. બલાડા, તા. ગળતેશ્વર, જિ. ખેડા) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, સાહીલ કરીમભાઈ મુલતાની (રહે. મુલતાનપુરા, બાલાસિનોર) અને મુસ્તાક નામના અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
PM મોદીના સ્વાગતમાં સોમનાથમાં શોર્ય યાત્રા:108 અશ્વો સાથે શૌર્ય, શિસ્ત અને સંસ્કૃતિનું પ્રદર્શન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસ નિમિત્તે 'શોર્ય યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 108 તાલીમબદ્ધ અશ્વો ભાગ લેશે, જે ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક બનશે. યાત્રાની તૈયારીના ભાગરૂપે સોમનાથમાં સંપૂર્ણ રૂટ પર રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં અશ્વો, અશ્વસવારો અને સુરક્ષા દળોએ સંકલિત રીતે ભાગ લીધો હતો. શિસ્તબદ્ધ પરેડ, અશ્વોની ચાલ અને સમયબદ્ધ આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. યાત્રામાં ભાગ લેનાર અશ્વસવારોને ખાસ પરંપરાગત ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે. આ વસ્ત્રો ભારતીય શૌર્ય પરંપરાનું પ્રતિબિંબ રજૂ કરે છે અને યાત્રાને વધુ આકર્ષક બનાવશે. અશ્વો અને અશ્વસવારોની સમગ્ર તૈયારી DIGP રાજેન્દ્રસિંહ ચુડાસમાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે શોર્ય યાત્રાને સુરક્ષિત અને શિસ્તબદ્ધ બનાવવા માટે ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે. રિહર્સલ દરમિયાન યાત્રાના રૂટ પર સમય, સંકલન અને વ્યવસ્થાની અંતિમ ચકાસણી કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે સુચારુ સંકલન સુનિશ્ચિત કરાયું છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રિહર્સલ નિહાળ્યું હતું. મંત્રી જીતુ વાઘાણીએ અશ્વસવારી કરીને અશ્વસવારોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રધાનમંત્રીના આગમન અને શોર્ય યાત્રાને લઈને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ યાત્રા ભારતીય શૌર્ય, આત્મગૌરવ અને સંસ્કૃતિના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે.
બગવાડા ટોલ પ્લાઝા પર સ્વિફ્ટ કારમાં આગ:શોર્ટ સર્કિટથી કાર બળીને ખાખ, ટ્રાફિક જામ થયો
પારડી નજીક બગવાડા હાઈવે ટોલ પ્લાઝા પર એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ટોલ પ્લાઝા પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. મળતી માહિતી મુજબ, આ સ્વિફ્ટ કાર નવસારી પાસિંગની હતી. કારમાં શોર્ટ સર્કિટ થતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખી કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 24 કલાકમાં જ હત્યાના ત્રણ અલગ-અલગ બનાવોએ શહેરને બન્યા છે. ડિંડોલી અને કાપોદ્રામાં થયેલી હત્યા બાદ ઉત્રાણ વિસ્તારમાં પણ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જ્યાં મિત્રો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા 24 વર્ષીય સાહિલ નામના યુવકને ટાર્ગેટ બનાવી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓની અને કાપોદ્રા પોલીસે હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, ડિંડોલી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઉત્રાણમાં સમાધાન કરાવવું ભારે પડ્યુંસુરતના ઉત્રાણ મોટા વરાછા વિસ્તારમાં 9 જાન્યુઆરીની રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં એ.આર. મોલ પાસે હત્યાની ઘટના બની હતી. 24 વર્ષીય સાહિલ ઉર્ફે સાહિલ ઘોદો તેના મિત્ર સુનીલ ઉર્ફે ડેન્જર અને આરોપી ઉત્તમ જેના વચ્ચે બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે થયેલા ઝઘડાનું સમાધાન કરાવવા વચ્ચે પડ્યો હતો. પનવેલ પોઇન્ટ પાસે સમાધાનની વાતચીત દરમિયાન સાહિલે માફી માંગવાનો ઇનકાર કરતા મામલો બીચક્યો હતો. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી ઉત્તમ જેના અને તેના સાળા ગણેશ ઉર્ફે ગણીયો નાયકે સાહિલ પર હુમલો કર્યો હતો. ઉત્તમે સાહિલને પકડી રાખ્યો હતો, જ્યારે ગણેશે તેની પાસેના છરા વડે સાહિલની છાતી, પીઠ અને સાથળના ભાગે ઉપરાછાપરી 8 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાહિલનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ડીંડોલીમાં મિત્રતા લોહીમાં ખરડાઈડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સી પાસે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મિત્રતાના સંબંધોનો કરુણ અંત આવ્યો છે. લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ઉમાશંકરસિંઘ પાંડે તેના મિત્રો આશુ અને દિલ્લુ યાદવ સાથે મેદાનમાં બેઠા હતા. વાતવાતમાં ઉમાશંકરે આશુની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરતા આશુ ઉશ્કેરાઈ ગયો હતો અને મિત્ર જ મિત્રનો કાળ બન્યો હતો. હત્યા પહેલા રાત્રે 1:30 વાગ્યે ઉમાશંકરની પત્ની રુચિસિંઘનો ફોન આવ્યો હતો, ત્યારે ઉમાશંકરે કહ્યું હતું કે, હું મિત્રો આશુ અને દિલ્લુ સાથે બેઠો છું અને એક મેટરમાં ઝઘડો ચાલી રહ્યો છે. પત્નીને કલ્પના પણ નહોતી કે આ તેનો પતિનો છેલ્લો અવાજ હશે. આરોપીઓએ તેને ઢીકા-મુક્કી અને બોથડ પદાર્થ વડે એટલો ઢોર માર માર્યો કે તેનું હોસ્પિટલમાં મોત થયું. ડીંડોલી પોલીસ હાલ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે જૂની અદાવતનો ખેલત્રીજી ઘટના કાપોદ્રામાં બની હતી, જ્યાં જૂની અદાવતને લીધે મંગલ ઉર્ફે બારીક યાદવની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. કાપોદ્રા ચાર રસ્તા પાસે ચાર શખ્સોએ મંગલને ઘેરી લીધો હતો અને તારી બહુ ચરબી વધી ગઈ છે તેમ કહી તેના પર ચપ્પુ વડે તૂટી પડ્યા હતા. મંગલને બચાવવા ગયેલા તેના અન્ય બે મિત્રો પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને સુરતથી અને અન્ય બે આરોપીઓ જે ભાગીને સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા, તેમને ત્યાંથી ઝડપી પાડ્યા હતા. મૃતક મંગલ યાદવ અને હુમલાખોરો બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવ્યું છે. વલસાડ સિટી પોલીસે ચાઈનીઝ માંજા (દોરી)ના વેચાણ પરના પ્રતિબંધનો અસરકારક અમલ કરવા માટે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.આ અભિયાન અંતર્ગત વલસાડ શહેરના બજારમાં પતંગ અને દોરીનું વેચાણ કરતા સ્ટોલ અને દુકાનોમાં ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમે પતંગ અને માંજા વેચતી વિવિધ દુકાનોમાં જઈ સઘન તપાસ કરી હતી.તપાસ દરમિયાન દુકાનોમાં રહેલા માંજાની ગુણવત્તા, પ્રકાર અને કાયદેસરતા ચકાસવામાં આવી હતી. ક્યાંય પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો સંગ્રહ કે વેચાણ તો થતું નથી ને તેની ખાતરી કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ દુકાનદારોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ દુકાન પરથી ચાઈનીઝ માંજા મળશે કે તેનું વેચાણ કરતા ઝડપાશે, તો સંબંધિત દુકાનદાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે ચાઈનીઝ માંજા ગેરકાયદેસર હોવા ઉપરાંત સામાન્ય નાગરિકો, વાહનચાલકો, બાળકો અને પક્ષીઓ માટે ગંભીર જોખમરૂપ છે. દર વર્ષે સંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ માંજાના કારણે ગંભીર અકસ્માતો અને પક્ષીઓના મૃત્યુના બનાવો સામે આવે છે.વલસાડ સિટી PI દિનેશ પરમારના નેતૃત્વમાં અને PSI અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત વલસાડ સિટી પોલીસની ટીમ દ્વારા શહેરની દુકાનો અને લારીઓમાં કડકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે દુકાનદારોને સહકાર આપવા અને માત્ર કાયદેસર તથા સુરક્ષિત માંજા વેચવા અપીલ કરી હતી.વલસાડ પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે ચાઈનીઝ માંજાનો ઉપયોગ ન કરે અને તેની ગેરકાયદેસર વેચાણની જાણ થાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે. સંક્રાંતિ પર્વને સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે આવા અભિયાન આગળ પણ ચાલુ રહેશે તેમ પોલીસ પ્રશાસને જણાવ્યું છે.
₹42 લાખની શેરબજાર છેતરપિંડી:મુખ્ય સૂત્રધાર ગોવાથી ઝડપાયો, 3 દિવસના રિમાન્ડ
નવસારી પોલીસે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹42.19 લાખની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર પિયુષ પારેખને ગોવાથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીના શાહુગામના 47 વર્ષીય રજનીકાંત ભીખુભાઈ પરમાર ગત 5 નવેમ્બર 2024ના રોજ પોતાના ફાર્મ હાઉસ પર સોશિયલ મીડિયા સર્ફિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને 'BK-FYRS' નામની એક જાહેરાત જોવા મળી હતી. લિંક ઓપન કરતા જ આરોહી શર્મા નામની વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો અને શેરબજારમાં રોકાણ કરી મોટું વળતર મેળવવાની લાલચ આપી હતી. રજનીકાંતભાઈએ વિશ્વાસમાં આવી ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને ટુકડે-ટુકડે કુલ ₹42,19,800 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જોકે, વળતર કે મુદ્દલ પરત ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ નવસારી રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી. અગાઉ પોલીસે આ કેસમાં મ્યુલ એકાઉન્ટ ધરાવનાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં રાજકોટનો પિયુષ પારેખ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવતો હોવાનું બહાર આવ્યું હતું. પિયુષ પારેખ એકાઉન્ટ ધારક અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિ વચ્ચે કડી સમાન હતો. તે ઠગાઈના નાણાં દિલ્હીના ફરીદ નામના શખ્સને આંગણિયા મારફતે પહોંચાડવામાં પણ સંડોવાયેલો હતો. છેલ્લા કેટલાય સમયથી પોલીસને થાપ આપી ભાગતા ફરતા પિયુષ પારેખ ગોવામાં સંતાયો હોવાની બાતમી મળતા નવસારી પોલીસની ટીમે ત્યાં પહોંચી ઓપરેશન પાર પાડ્યું હતું. 8મી તારીખની મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં તેની ધરપકડ કરી શુક્રવારે સાંજે કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ રેકેટના અન્ય તાર કયા રાજ્યો કે વ્યક્તિઓ સાથે જોડાયેલા છે તેની તપાસ કરી રહી છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં આપઘાતની ઘટનાઓ સામે આવી છે, જેમાં એક મહિલા પોલીસ કર્મચારીની પુત્રી, એક 15 વર્ષીય કિશોર અને એક શ્રમિક યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત, ઉતરાયણ પૂર્વે જ ઘાતક પતંગની દોરી રસ્તા પર યમદૂત બનીને આવી રહી હોય તેમ બે બાઇક સવાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ લાઈનમાં યુવતીનો આપઘાતપિપલોદ વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય નિતીક્ષા વસાવાએ શુક્રવારે બપોરે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. નિતીક્ષાના માતા રેખાબેન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અભ્યાસમાં તેજસ્વી એવી યુવતીએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, જેના કારણે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. કિશોર અવસ્થામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંતબીજી ઘટના સચિન પાલીગામની સાંઈનાથ સોસાયટીમાં બની હતી, જ્યાં મૂળ યુપીનો અને હેલ્પર તરીકે કામ કરતો 15 વર્ષીય કિશોર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કિશોર કોઈ કિશોરીના એકતરફી પ્રેમમાં હતો. કિશોરીએ તેની સાથે વાત કરવાની મનાઈ કરી દેતા માનસિક તણાવમાં આવી જઈ તેણે શનિવારે સવારે ફાંસો ખાઈ લીધો હતો. શ્રમિક યુવકનો આપઘાતનું કારણ અકબંધઆપઘાતનો ત્રીજો કિસ્સો ગોડાદરા વિસ્તારમાં નોંધાયો છે. ગોડાદરા સુડા આવાસમાં રહેતા 18 વર્ષીય હર્ષ પરાતેએ શુક્રવારે બપોરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. હર્ષ કાપડ માર્કેટમાં સાડી પેકિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. આ કિસ્સામાં પણ આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે આ ત્રણેય કેસોમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિંગરોડ બ્રિજ પર પતંગની દોરીએ લીધો ભોગઉતરાયણનો તહેવાર નજીક આવતા જ જીવલેણ દોરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. પાલ વિસ્તારમાં રહેતા અને સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા સચિનભાઈ મહેતા શુક્રવારે રાત્રે જ્યારે રિંગરોડ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સિવિલ હોસ્પિટલની સામે અચાનક પતંગની દોરી તેમના હાથમાં આવી ગઈ હતી. દોરીના ઘસરકાને કારણે તેમને જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોઢાના ભાગે ઈજા છતાં યુવકનો આબાદ બચાવપતંગની દોરીની બીજી એક ઘટના ડિંડોલી વિસ્તારના નંદકિશોર પાટીલ સાથે બની હતી. નંદકિશોર શુક્રવારે રાત્રે કરાડવા ગામ જઈ રહ્યો હતો ત્યારે અચાનક દોરી તેના મોઢાના ભાગે ભરાઈ ગઈ હતી. બાઇકની ગતિ મર્યાદિત હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ તેને મોઢા પર ઈજાઓ પહોંચી હતી. તેને પણ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.
ભરૂચમાં JCI દ્વારા સેફ્ટી ગાર્ડનું વિતરણ:ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી બચવા પહેલ
ભરૂચમાં જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (JCI) દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે 'સેફ્ટી ગાર્ડ' પ્રોજેક્ટ હેઠળ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઈજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુથી આ પહેલ કરાઈ હતી. ઉતરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઈજાઓથી બચાવવા માટે આ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં JCIના સભ્યો ઉપરાંત પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં JCIના ચેરમેન જેસી પ્રણવ શાહ, કો-ચેરમેન જેસી જિમીત પાઠક, માર્ગદર્શક જેસી આશિષ શેઠ, પ્રમુખ જેસી સાગર કાપડિયા અને સેક્રેટરી જેસી હર્ષ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ નાગરિકોને ઉતરાયણ પર્વ સુરક્ષિત રીતે ઉજવવા અને સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
રાજકોટ શહેરની બેંકોના એટીએમમાં રૂપિયા લોડ કરવાનું અને લોડ થયેલા રૂપિયા ઉપાડી બેંકમાં જમા કરાવવાનું કામ કરતી CMC ઇન્ફો સીસ્ટમ નામની કંપનીમાં 20 દિવસ પહેલા જ કસ્ટોડીયલ તરીકે નોકરીમાં જોડાયેલો હાલ રાજકોટ ઓમનગરમાં મામા સાથે રહેતો મુળ સોમનાથ વેરાવળનો શખ્સ પોતાની ફરજ દરમિયાન કંપનીના વાહનમાં રૂ.1,30,00,000 લઇ એટીએમ ખાતે જઇ 29 લાખ જમા કરાવી બાકીના 1,10,00,000 પરત કંપનીમાં જમા કરાવવાને બદલે તેમાંથી 10 લાખ બારોબાર ઓળવી જઇ ગાયબ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં અને CMC ઇન્ફો સિસ્ટમ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ગોપાલસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.41)એ ઓમનગર શેરી નં.6 ખોડલ હોટલ પાસે પોતાના મામાના મકાનમાં રહેતાં અને મુળ વેરાવળ સોમનાથના રામ મંદિર પાછળ રહેતાં સાગર પરષોત્તમભાઇ દેવળીયા વિરૂધ્ધ રૂ.10 લાખની ઠગાઇ-ઉચાપતની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં ગોપાલસિંહે જણાવ્યું હતું કે, અમારી ઓફિસમાં 90 લોકોનો સ્ટાફ છે. જેમાં ડ્રાઇવરથી માંડી ગનમેન કસ્ટોડીયલ પણ સામેલ છે. અમારી કંપનીમાં સાગર દેવળીયા 20 દિવસથી અને સાહિલ જયેશભાઇ ઘાચી 6 મહિનાથી મહેસાણા બ્રાંચમાં કસ્ટોડીયલ તરીકે નોકરી કરે છે જેનો માસિક પગાર 11,500 છે. તા.02.01.2026ના રોજ SBI મેઇન બ્રાંચમાંથી રૂ.4 કરોડ આશરે 3.45 વાગ્યે મેળવેલ હતાં ત્યારે SBIમાં નાણા સ્વીકારનારા પૃથ્વીરાજ હમસુખભાઇ બારોટ અને સાહીલ જયેશભાઇ ઘાંચીની સહી કરી હતી. બાદમાં SBIના પાર્કિંગમાં રૂપિયાના ભાગ પાડયા હતાં જેમાં એક ભાગના રૂપિયા આ બંને લઇ SBIના અલગ અલગ ATMમાં લોડ કરવા નીકળ્યા હતાં. જે પૈકી 1 કરોડ 30 લાખ અલગ અલગ ATMમાં લોડ કરવાના હતાં. કસ્ટોડીયન તરીકે રહેલા સાગર દેવળીયા અને સાહિલ ઘાંચીની જવાબદારી એક વાહનમાંથી બીજા વાહનમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની હતી. બાદમાં બીજી ગાડી લઇ આ લોકો SBIની યાદી મુજબના 14 એટીએમમાં રૂપિયા જમા કરવા ગયા હતાં. જંકશન પ્લોટમાં રેલ્વે ગાર્ડ રેસ્ટ રૂમ સામે એટીએમમાં 13 લાખ અને 16 લાખ મળી કુલ 29 લાખ લોડ કર્યા હતાં. બાદમાં આ વાહનમાં બાકી રહેલા 1 કરોડ 91 લાખ રૂપિયા સાગર દેવાળીયાએ અમારી ઓફિસમાં જમા કરાવ્યા હતાં. બાકીના 10 લાખ જમા કરાવ્યા ન હતા. બીજા દિવસે તા.03.01.2026ના રોજ ઓફિસમાં ગણતરી વખતે રૂ.10 લાખની ઘટ આવી હતી તપાસ કરતાં સાગર દેવળીયાએ રકમ ઓછી જમા કરાવી 10 લાખ પોતે ઓળવી ગયાનું ધ્યાને આવ્યું હતું. આથી કંપનીએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ હાથ ધરી છે.
4 વાહનો ઝડપાયા, ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત:પંચમહાલમાં ખનીજ ચોરી સામે તંત્રના દરોડા
પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરી અને ઓવરલોડ વહન સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. શહેરા અને ગોધરા પંથકમાં આકસ્મિક દરોડા પાડી કુલ ચાર વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં શહેરામાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતીની હેરાફેરી કરતા બે ટ્રેક્ટર જપ્ત કરાયા હતા. જ્યારે ગોધરા તાલુકાના ગોઠડા નજીક ક્ષમતા કરતા વધુ ખનીજ ભરીને જતા બે ડમ્પરને ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા વાહનો અને ખનીજની અંદાજિત કિંમત ₹60 લાખથી વધુ આંકવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે તમામ વાહનો કબજે લઈ તેના માલિકો વિરુદ્ધ દંડકીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વહન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હિંમતનગર બેંકના 13 ડિરેક્ટર્સ માટે આજે મતદાન:42 ઉમેદવારો મેદાનમાં, 25 મથકો પર 2 EVM સાથે તૈયારી
હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે આજે મતદાન યોજાશે. કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય 32,661 મતદારો કરશે. મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી હિંમત હાઈસ્કૂલમાં શરૂ થશે. ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હિંમત હાઈસ્કૂલમાં 25 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. દરેક મતદાન મથકમાં બે EVM રાખવામાં આવ્યા છે. આ મતદાન પ્રક્રિયામાં 200થી વધુ કર્મચારીઓ જોડાશે. હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારિયાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કેટલાક ઉમેદવારી પત્રો રદ થયા અને કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, ત્યારબાદ 42 ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું. આ 42 ઉમેદવારોમાં સામાન્ય વિભાગમાં 29, મહિલા વિભાગમાં 5 અને SC/ST વિભાગમાં 8 ઉમેદવારોનો સમાવેશ થાય છે. મતદાન સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન પૂર્ણ થયા બાદ હિંમત હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં મતગણતરી શરૂ કરવામાં આવશે.
હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક ઓરડીના દરવાજા પર બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા બુકાનીધારી શખ્સો 'ફિરોજ ક્યાં છે?' તેમ પૂછીને આવ્યા હતા અને ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના શુક્રવારે રાત્રિના લગભગ દસ વાગ્યાના અરસામાં બની હતી. ધાંગધ્રા દરવાજા પાસે રાવલફળીમાં રહેતા માજીદભાઈ યુનુસભાઈ સંધિ (ઉં.વ. 35)એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, બે શખ્સો પલ્સર બાઈક પર આવ્યા હતા અને તેમના મોઢા પર બુકાની બાંધેલી હતી. ત્યાં હાજર વ્યક્તિને તેમણે 'ફિરોજ ક્યાં છે?' તેમ પૂછ્યું હતું. હાજર વ્યક્તિએ 'મને ખબર નથી, તમે જોઈ લો' તેમ જવાબ આપતા, શખ્સોએ ઓરડીનો દરવાજો અને બારી ખોલીને તપાસ કરી હતી. ઓરડીમાં કોઈ હાજર ન હોવાથી, તેમણે દરવાજા પર બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતી વખતે, તેમણે 'માજીદ અને ફિરોજને કહી દેજો કે અમારા પર કરેલી ફરિયાદ પાછી ખેંચી લે, નહીં તો ફાયરિંગ કરીને પતાવી દઈશું' તેવી ધમકી આપી હતી અને બાઈક પર ફરાર થઈ ગયા હતા. ફરિયાદી માજીદભાઈએ શંકા વ્યક્ત કરી છે કે, આશરે પંદર દિવસ પહેલા ધાંગધ્રા ગામના હાજી સંધિ અને અનશ સંધીએ ફોન કરીને પૈસાની માંગણી કરી ધમકી આપી હતી. આ અંગે ગત તા. 30/12/2023 ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અગાઉની ફરિયાદનો ખાર રાખીને તેમને અને તેમના ભાઈ ફિરોજને મારી નાખવાના ઇરાદે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આ ઘટનાની વિગતો આપી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આશરે 15 દિવસ પહેલા ધાંગધ્રા ગામના હાજી સંધિ અને અનશ સંધીએ ફોન કરીને પૈસાની માંગણી કરી ધમકી આપેલ હતી જેથી તે અંગેની ગત તા 30/12/25 ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ હતી જેથી હાલના ફરિયાદી તથા તેના ભાઈ ફિરોજ ને મારી નાખવા માટે તેઓની ઓરડીના દરવાજા ઉપર બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકી કાજલ ધોબીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ મેડિકલ પુરાવા સાથે કરેલા દાવાએ વહીવટી તંત્રને ઉઘાડું પાડી દીધું છે. શનિવારે વધુ નવા 13 કેસ પોઝિટિવ નોંધાયાશહેરમાં રોગચાળાની સ્થિતિ દિન-પ્રતિદિન સ્ફોટક બની રહી છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, આજે શનિવારે વધુ નવા 13 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલમાં કુલ 74 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. સિવિલમાં બે બાળકોના મોતશુક્રવારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 75 હતી. કરોડોના તોતિંગ ખર્ચે નખાયેલી પાણીની નવી પાઈપલાઈનોમાં વારંવાર થતા લિકેજ અને તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે નિર્દોષ બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં સિવિલમાં બે બાળકોના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે ખાનગી તબીબો પણ ચેતવણી આપી રહ્યા છે કે જો આ ઢાંકપીછોડો ચાલુ રહેશે તો સ્થિતિ વધુ વણસી શકે છે. બાળકીના મોત મામલે ‘આપ’નો પુરાવા સાથે દાવોત્યારે ‘આપ’ના કાઉન્સિલર તુષાર પરીખે સિવિલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકીની મેડિકલ ફાઈલના આધારે દાવો કર્યો છે કે, 2 જાન્યુઆરીના રોજ તેનો વિડાલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 5 જાન્યુઆરીએ મોત થયું. તે પહેલા 4 જાન્યુઆરીનો ટેસ્ટ પણ ટાઈફોઈડની પુષ્ટિ કરતો હતો. આમ છતાં, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ મોતનું સાચું કારણ છુપાવી રહ્યા છે. 'તંત્ર આંકડાની હેરફેરમાં વ્યસ્ત'‘આપ’ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક તંત્ર મોત માટે જવાબદાર છે, બીજું તંત્ર આંકડાની હેરફેરમાં વ્યસ્ત છે અને ત્રીજું તંત્ર સત્ય છુપાવવામાં માહિર છે. પાર્ટીએ માંગણી કરી છે કે મૃતક કાજલના પરિવારને તાત્કાલિક આર્થિક રાહત આપવામાં આવે અને જે જવાબદાર અધિકારીઓની બેદરકારીથી આ ઘટના બની છે, તેમની સામે ‘માનવ વધ’નો ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓના રાજીનામા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ઉપવાસ આંદોલન છેડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
મોરબીમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનામાં મોરબી એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 2 શખસની ધરપકડ કરી છે. કોર્ટે બંને આરોપીઓને સોમવાર સુધી એટલે કે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. આખો બનાવ કેવી રીતે સામે આવ્યો?પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ શરમજનક ઘટના 7 જાન્યુઆરીની રાત્રે બની હતી. મોરબીની એક સંસ્થામાં જ્યાં મનોદિવ્યાંગ મહિલાઓ નિવાસ કરે છે, ત્યાં આરોપીઓએ પાછળની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. આ બાકોરા વાટે અંદર પ્રવેશ કરી બે નરાધમોએ ત્યાં રહેલી 2 અસહાય મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ કાર્યવાહી અને ધરપકડબનાવની ગંભીરતાને જોતા DySPની સૂચના હેઠળ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI આર.એસ. પટેલ અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ કોર્ટ કાર્યવાહી ધરપકડ બાદ પોલીસે બંને શખસને રિમાન્ડની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઘટનાનું પુનઃનિર્માણ (રિકન્સ્ટ્ર્ક્શન) કરવા માટે આરોપીઓની કસ્ટડી જરૂરી છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી આગળની તપાસ ચલાવી રહી છે.
રાજકોટમાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. નયનાબેન ગત તા.26 ડિસેમ્બરે રાજેશ સાથે છૂટાછેડા લીધા હતા હાલ વિશાલ વલ્લભભાઈ કુબાવત નામના યુવક સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. નયનાએ ગઈકાલે સાંજે 5.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેની જાણ થતા વિશાલ કુબાવતએ તુરંત નયનાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. ડોક્ટરે નયનાને મૃત જાહેર કરી હતી. નયનાને રાજેશ સાથેના લગ્નજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. હાલ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ વધુ હાથ ધરી છે. ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાને આપઘાત કર્યોવિપુલ કાંતિભાઈ ઠાકોર (ઉં.વ.30) આજે સવારે 9.30 વાગ્યે ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. વિપુલના પત્ની કૈલાસબેન પોતાના બહેનના ઘરે ગયા હતા ત્યારે ઘરે એકલા રહેલ વિપુલે આત્મઘાતી પગલું ભરી લીધું હતું દરમિયાન પત્ની ઘરે આવતા પતિએ દરવાજો ન ખોલતા દરવાજો તોડી જોતા વિપુલ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક કારખાનામાં કામ કરતો અને તેને સંતાનમાં બે દીકરા છે. તેમનું મૂળ વતન મહેસાણાનું વિસનગર પંથક છે. યુવકના મોતથી બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આશ્રમમાં ગળેફાંસો ખાઈ વૃદ્ધે આપઘાત કર્યોરાજકોટ નજીક કણકોટ ગામે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા અલખધણી આશ્રમમાં આજે રણછોડભાઈ ગોરધનભાઈ મોરડીયા (ઉં.વ.67)એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રણછોડભાઈ આશ્રમમાં જ રહેતા અને ચારેક વર્ષથી અહીં ગાયોની સારસંભાળ અને સેવા કરતા. તેઓએ પશુ માટે નીરણ રાખવાનું ગોડાઉન હોય ત્યાં લોખંડના એંગલમાં પશુ બાંધવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પેલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રણછોડભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનો પણ આપઘાત અંગે કારણ જાણતા ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કુવામાં પડી જતા યુવાનનું મોતરાજકોટના ખીજડિયા ગામે ધમલપર રોડ પર રહેતાં કુશાલસિંહ બલદેવસિંહ ભાટી (ઉ.વ.40) ગઈકાલે ધમલપર ગામની સીમમાં આવેલ કૂવામાં કામ કરતાં હતા ત્યારે અચાનક જ તેઓ કુવાની અંદર પટકાતા તેઓને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી હતી તેમને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દેતાં પરીવારમાં આક્રંદ છવાયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વર્ષ 2020માં ઇસનપુર પોલીસ મથકે મૂળ સુરેન્દ્રનગરના પ્રકાશ દેસાણી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, અપહરણ, સરકારી અધિકારીની ખોટી ઓળખ જેવી કલમો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 32 સાહેદ અને 33 પુરાવાને આધારે આરોપીને આજીવન કારાવાસની સજા અને આશરે કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી કોલકાતાથી ઝડપાયો હતો. મહિલાની રિક્ષા રોકી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીકેસને વિગતે જોતા એક વ્યક્તિ અને ભોગ બનનાર મહિલાને પ્રેમ સંબંધ હતો. ભોગ બનનાર મહિલા રિક્ષા લઈને લાંભા તરફ જઈ રહી હતી. ત્યારે તેની રિક્ષાને અન્ય એક રિક્ષાએ રોકી હતી અને અંદર બેસેલા વ્યક્તિઓએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમજ ચોરીના કેસમાં મહિલા ઉપર આક્ષેપ હોવાનું જણાવ્યું હતું. તેથી ગાયકવાડ હવેલી પોલીસ મથકે જવા મહિલાને રિક્ષામાં બેસવા જણાવ્યું હતું. મહિલાનું અપહરણ કરી પ્રેમી પાસે 30 હજાર માગ્યા હતાઆમ આરોપીઓએ મહિલાનું અપહરણ કર્યું હતું અને તેના પ્રેમી સાથે તેના જ ફોન પરથી વાત કરાવીને 30 હજાર રૂપિયા માગ્યા હતા. બાદમાં પીડિતાનો ફોન બંધ કરી દીધો હતો. આથી મહિલાના પ્રેમીએ પોલીસને જાણ કરી હતી અને 10 હજાર રૂપિયા આરોપીઓએ કહેલા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. છેવટે ભોગ બનનાર ગમે તેમ કરીને પોતાના ઘરે આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને તેનું નિવેદન નોંધ્યું હતું. આરોપીઓએ મહિલા પર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય અને દુષ્કર્મ આચર્યુંભોગ બનનારે જણાવ્યું હતું કે, આરોપીઓએ રિક્ષામાંથી તેને એક ગાડીમાં લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ રસ્તા વચ્ચેથી શરાબની બોટલ લીધી હતી. ત્યારે ધોળકા પાસે આરોપીઓ મહિલાને એક નિર્જન સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેની ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીઓ જ્યારે નશામાં હતા. તેનો લાભ લઈને ભોગ બનનાર ભાગી છૂટી હતી. આરોપીઓએ જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતોઓળખ પરેડમાં ભોગ બનનાર મહિલાએ આરોપીઓને ઓળખી બતાવ્યો હતો. પોલીસે મુદ્દા માલ કબજે કર્યો હતો. ભોગ બનનારે એવું પણ જણાવ્યું હતું કે, આરોપીઓ તેને રિક્ષામાં એક પોલીસ સ્ટેશનથી દૂર ઊભી રાખીને એક વ્યક્તિ પોલીસ મથકમાં પણ ગયો હતો. વળી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરતા પહેલા આરોપીઓએ તેને શરાબનું સેવન કરવા જણાવ્યું હતું. જેનો તેને ઇન્કાર કરતા તેને જબરજસ્તી શરાબનું સેવન પણ કરાવ્યું હતું. આરોપીઓએ વધુ દારૂ પી લેતા મહિલા ભાગી છુટી હતીત્યાર બાદ આરોપીઓએ મહિલાને કપડાં ઉતારવા કહ્યું હતું. પરંતુ મહિલાએ ના પાડતા જબરજસ્તી તેના કપડા ઉતારીને તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ માર માર્યો હતો. શરાબ પેટમાં જતા મહિલાને ઉલ્ટી થઈ હતી. પરંતુ આરોપીઓએ વધુ શરાબ પી લેતા તેઓ નશામાં હતા, ત્યારે મહિલા ભાગી છુટી હતી. મહિલાને શરીરમાં દુખાવો થતા નજીકમાં ઘરનો સંપર્ક કર્યો હતોમહિલાને શરીરમાં દુખાવો થતાં તે નજીકના આવેલા કેટલાક ઘરના લોકોનો સંપર્ક કર્યો હતો. જ્યાં બે મહિલાઓએ તેને યુરીન પાસ કરવામાં મદદ કરવી પડી હતી તે હદે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લોકોએ તેને ST બસમાં બેસાડતા તે ત્યાંથી પોતાના ઘરે પહોંચી હતી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારીઆરોપી વતી રજૂઆત કરવામાં આવી હતી કે, તેને દલિત સમાજમાં લગ્ન કર્યા હોવાથી તેને નાત બહાર કરાયો હતો. તેના કાકા સસરા પોલીસ ઇન્સ્પેક્ટર હોવાથી તેને ફસાવવા માટે આ ખોટો કેસ ઊભો કરાયો છે. જોકે, અદાલતે આરોપીને આજીવન કરાવવાથી સજા અને આશરે 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષક સ્ક્વોડે દારૂણિયા રોડ પરથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે. મુસા મસ્જિદ સામેના ગોડાઉન પાસેથી બાઈક પર લઈ જવાતો આ જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જોકે, બાઈકચાલક માંસ અને બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 9 જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં ગોધરા શહેર બી ડિવિઝન અને ગૌરક્ષક સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભામૈયા ચોકડીથી આગળ દારૂણિયા રોડ પરથી એક બાઈક પર બે ઈસમ શંકાસ્પદ માંસનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મુસા મસ્જિદ પાસેના ગોડાઉન નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબનો બાઈકચાલક આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બાઈકચાલકે થોડે દૂર બાઈક ઊભી રાખીને તેના પર સવાર બંને ઈસમ નાસી છૂટ્યા હતા. પોલીસે બાઈક નજીક જઈને તપાસ કરતા તેના પરના બોક્સમાંથી 30 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો અને બાઈક મળીને કુલ રૂપિયા 36 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ માંસ ગૌમાંસ હોવાની આશંકાએ તેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે. ફરાર થયેલા ઈસમોની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં UGVCL દ્વારા આયોજિત 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિંમતનગર સર્કલ ચેમ્પિયન બન્યું છે. ધ ગેલેક્સી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી 40 ઓવરની ફાઇનલ મેચમાં હિંમતનગર સર્કલે પાલનપુર સર્કલને હરાવ્યું હતું. આ ત્રિદિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ 8 જાન્યુઆરી, 2026ના રોજ થયો હતો. પ્રથમ બે દિવસ નોકઆઉટ મેચો પાંચ ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાંથી હિંમતનગર સર્કલ અને પાલનપુર સર્કલની ટીમો ફાઇનલમાં પહોંચી હતી. શનિવારે સવારે 9:30 કલાકે શરૂ થયેલી ફાઇનલ મેચમાં પાલનપુર સર્કલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાલનપુરની ટીમ 28.3 ઓવરમાં 82 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, હિંમતનગર સર્કલની ટીમે 11.2 ઓવરમાં 4 વિકેટે 84 રન બનાવીને મેચ જીતી લીધી હતી અને ચેમ્પિયન બની હતી. UGVCL દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી હિંમતનગર સર્કલ ટીમને અને રનર-અપ પાલનપુર સર્કલ ટીમને શિલ્ડ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમે ધ ગેલેક્સી ક્રિકેટ ગ્રાઉન્ડ પર અનોખી રીતે ચેમ્પિયનશીપનો વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે IRO પ્રણવ બ્રહ્મભટ્ટ, મહેસાણા કોર્પોરેટના એડિશનલ ચીફ એન્જિનિયર જી.જે. ધનુલા, હિંમતનગર સર્કલના AGM વી.એચ. અસારી, સહાયક સચિવ ડી.વી. પાંડોર, ટીમ સિલેક્ટર રીપલ જોશી સહિતના મહેમાનો, અધિકારીઓ અને UGVCLના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ રોમાંચક ફાઇનલ મેચ નિહાળી હતી.
ગાંધીનગર કોમર્સ કોલેજમાં બીઝફેસ્ટનું આયોજન:વિદ્યાર્થીઓએ સ્ટોલ લગાવી વ્યવસાયિક જ્ઞાન મેળવ્યું
ગાંધીનગરના સેક્ટર 15 સ્થિત સરકારી વાણિજ્ય કોલેજમાં 'બીઝફેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પોસ્ટર્સ અને વાનગીઓના 40 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યના સહયોગ તથા પ્રોત્સાહનથી આ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સ્ટોલની મુલાકાત લઈ નવીન વિગતો મેળવી હતી અને વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. સરકારી વાણિજ્ય કોલેજ, સેક્ટર 15, ગાંધીનગર દ્વારા આયોજિત આ 'બીઝફેસ્ટ 2026'નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક જ્ઞાન પ્રદાન કરવાનો હતો. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ સ્વયં કાર્યક્રમનું આયોજન કરે છે અને વિવિધ વાનગીઓ બનાવીને મહેમાનોને વેચે છે. કોલેજના અધ્યાપકો અને પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આનાથી વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયોનું પ્રાયોગિક જ્ઞાન મળે છે. એલ્યુમિનિ એસોસિયેશને પણ આ ફેસ્ટિવલમાં સક્રિય ભાગ લીધો હતો અને આર્થિક ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ સ્વયં તૈયાર કરેલી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તસવીરો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગાંધીનગર વાણિજ્ય કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમના પ્રારંભે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બોડેલી નજીક અલ્હાદપુરા નર્મદા કેનાલ પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક પર લઈ જવાતી દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દારૂના ખેપિયાને ઝડપી પાડ્યો હતો. આજે બપોરના સમયે વડોદરાનો એક પટેલ પરિવાર પોતાની કારમાં કોસીન્દ્રા ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. અલ્હાદપુરા કેનાલના રસ્તેથી પસાર થતી વખતે સામેથી પૂરઝડપે આવતી બાઇક સાથે તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટને નુકસાન થયું હતું. કારમાં સવાર પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જોકે, બાઇક ચાલક દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, જેના કારણે અકસ્માત થતાં દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ ગઈ અને દારૂની રેલમછેલ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી બાઇક ચાલકને વિદેશી દારૂ અને બાઇક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં પાન પાર્લરની આડમાં ચાલતા ડીઝલ ચોરીના એક વ્યવસ્થિત નેટવર્કનો અડાલજ પોલીસે આજે વહેલી પરોઢિયે પર્દાફાશ કરી રૂ. 20.16 લાખનો મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસને જોઈ મુખ્ય સૂત્રધાર અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અડાલજ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતીગાંધીનગરના ઉવારસદ ગામમાં પાન પાર્લરની આડમાં ચાલતા ડીઝલ ચોરીના કાળા કારોબાર પર અડાલજ પોલીસ વહેલી પરોઢિયે ત્રાટકી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી.ઓડેદરાની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ-શેરથા રોડ પર આવેલા સુંદર પાન પાર્લરનો માલિક જયેશ વિહાજી ઠાકોર ડમ્પર ચાલકો સાથે મળીને ડીઝલ ચોરીનું રેકેટ ચલાવી રહ્યો છે. ડમ્પરની લાઈટ ચાલુ જોતા પોલીસે રેડ પાડીજે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા એક આઈવા ડમ્પરની પાર્કિંગ લાઈટ ચાલુ હતી. એ વખતે પોલીસને જોઈને પાન પાર્લરનો માલિક જયેશ ઠાકોર અંધારાનો લાભ લઈ ખેતરોમાં ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ડમ્પર પાસે ઉભેલા ડ્રાઈવર મુકેશજી ગલાજી ઠાકોર અને દિલીપ કડવાજી ઠાકોર (બંને રહે. ગંગેટ, પાટણ) ને કોર્ડન કરી ઝડપી લીધા હતા. કેરબામાં ડીઝલ કાઢવાનો ગોરખધંધોબાદમાં પોલીસે વધુ તપાસ કરતા ડમ્પરની ડીઝલ ટાંકી ખુલ્લી મળી આવી હતી. જેમાં કેસરી રંગની પાઈપ નાખીને કેરબામાં ડીઝલ કાઢવાનો ગોરખધંધો ચાલુ હતો. ત્યારે પકડાયેલા શખસોની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે ડ્રાઈવર મુકેશજી છેલ્લા બે મહિનાથી જયેશ ઠાકોરને ડમ્પરની ટાંકીમાંથી ડીઝલ કાઢી આપતો હતો. જયેશ તેની પાસેથી માત્ર 70 રૂપિયા પ્રતિ લિટરના ભાવે આ ડીઝલ ખરીદીને સંગ્રહ કરતો હતો. 100 લિટર ડીઝલ ભરેલા બે મોટા કેરબા મળ્યાપોલીસે જ્યારે પાર્લરની આસપાસ તપાસ કરી તો ત્યાં પડેલી એક સફેદ ઈકો ગાડીમાંથી પણ 100 લિટર ડીઝલ ભરેલા બે મોટા કેરબા મળી આવ્યા હતા. આ ઉપરાંત પાર્લરની બાજુમાં કપડાની આડમાં છુપાવીને રાખેલા 25 જેટલા ખાલી કેરબા પણ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ ડીઝલના સંગ્રહ માટે કરવામાં આવતો હતો. પોલીસે 20.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઆ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 18 લાખની કિંમતનું આઈવા ડમ્પર, 2 લાખની કિંમતની ઈકો ગાડી, 120 લિટર ડીઝલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 20.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી જયેશ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. ભરતી બોર્ડ દ્વારા પહેલા કોલ લેટર માટે 9 તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ ટેક્નિકલ કારણોસર હવે 12 તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ફિઝિકલ ટેસ્ટ 21 જાન્યુઆરીએ બપોરે 2 વાગે શરૂ થશેભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSIઅને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીએ બપોરે 2 વાગે શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. 12 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશોભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, શારીરિક કસોટી માટેના કોલ લેટર 12 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લાખો ઉમેદવારો ભાગ લેશેPSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ભરતી બોર્ડની અપીલગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.
ચંદ્રુમાણામાં યુવક મંડળ દ્વારા અબોલ શ્વાનોને ભોજન:દિવંગત સ્વજનોની યાદમાં તિથિ ભોજન અપાયું
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે યુવક મંડળ દ્વારા શિયાળામાં અબોલ શ્વાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પટેલ વાડીમાં શીરો અને ખીચડી બનાવીને પીરસવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં દિવંગત સ્વજનોના સ્મરણાર્થે તિથિ ભોજન પણ આપવામાં આવે છે. તાજેતરમાં, સ્વ. નાગજી દેસાઈ ખટાણાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારે શીરાનું દાન કર્યું હતું. યુવક મંડળના જણાવ્યા અનુસાર, દાતા પરિવારે 25 કિલો ભૈડણ, 8 કિલો ગોળ અને એક ડબ્બો તેલનું દાન આપ્યું હતું. અગાઉ પણ અનેક પરિવારોએ આ પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું છે. જેમાં સ્વ. વીમુભાઈ જાનીની પુણ્યતિથિ નિમિત્તે નિલેશભાઈ જાની, સ્વ. ધ્રુવભાઈ પટેલ અને સ્વ. પ્રાચીબેન પટેલની પુણ્યતિથિ નિમિત્તે નવીનભાઈ ભીખુભાઈ, તેમજ સ્વ. દિલીપભાઈ વ્યાસ, સ્વ. કુબેરભાઈ પટેલ, સ્વ. બબીબેન પટેલ અને સ્વ. વિરચંદભાઈ પટેલના પરિવારજનો દ્વારા અબોલ શ્વાનોને શીરો અને ખીચડીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. યુવક મંડળે વોટ્સએપ ગ્રુપ દ્વારા જાહેરાત કરી છે કે આ પ્રવૃત્તિ માટે જરૂરી ભંડોળ એકત્રિત થઈ ગયું છે, તેથી હાલ વધુ દાનની જરૂર નથી. આ ઉપરાંત, ગામના લીમડી ચોકમાં ગં.સ્વ. સવિતાબા અને મહોલ્લાની અન્ય બહેનો દ્વારા પણ નિયમિતપણે રોટલા બનાવીને શ્વાનોને ખવડાવવાની પ્રવૃત્તિ ચાલુ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નવ દિવસીય શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. મંદિર પરિસરમાં નવનિર્મિત શ્રીમદ જેશીંગબાપા વાનપ્રસ્થ ભવનમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે ભોલેશ્વરદાદાના મંદિરેથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાઈ હતી. આ પોથીયાત્રા ભોલેશ્વર મહાદેવ મંદિરેથી બેન્ડવાજા સાથે નીકળી હતી. મુખ્ય યજમાન જીગ્નેશ પટેલના પરિવાર દ્વારા પોથીયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ શોભાયાત્રામાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ, હોદ્દેદારો, ભક્તો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોથીયાત્રા કથા સ્થળ, જેશીંગબાપા વાનપ્રસ્થ ભવન ખાતે પહોંચ્યા બાદ મુખ્ય યજમાનના હસ્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યાસપીઠ પર પોથીને બિરાજમાન કરાઈ હતી. વડોદરાના રમેશ શાસ્ત્રીના કંઠે શિવ મહાપુરાણ કથાનો વિધિવત પ્રારંભ થયો હતો. આ કથા 10 જાન્યુઆરી, શનિવારથી 17 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન યોજાશે. કથાની પૂર્ણાહુતિ 18 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન થશે. કથા શ્રવણ માટે સર્વે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું. ફિલ્મી જગતના જાણીતા અભિનેતા સોનુ સૂદની વારાહી ખાતેની મુલાકાતને પગલે સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સોનુ સૂદે ગૌશાળાની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી ગૌસેવાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ગૌશાળામાં હાલમાં અંદાજે 6000 જેટલી ગૌમાતાનું પાલન-પોષણ અને સેવા કરવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન સોનુ સૂદે ગૌમાતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે સંસ્થાના વ્યવસ્થાપકો સાથે ગૌસેવા અંગે ચર્ચા કરી હતી અને ગૌશાળાના વિશાળ સંકુલમાં ગૌવંશ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સોનુ સૂદ દ્વારા ગૌશાળાના લાભાર્થે ₹11 લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મી સિતારાની આ મુલાકાતથી ગૌસેવાના કાર્યને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌશાળાના સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સતલાસણા તાલુકાના ભીમપુર ગામ નજીક આવેલા તારંગાના જંગલ વિસ્તારમાં શાહુડી નામના આરક્ષિત વન્ય પ્રાણીનો શિકાર કરનાર બે શખ્સોને વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શિકાર કરાયેલું પ્રાણી ઘરમાંથી મળી આવ્યુંમળતી માહિતી મુજબ ભીમપુર ગામના રહેવાસી ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી નામના બે શખ્સોએ તારંગાના જંગલમાંથી શાહુડીનો શિકાર કર્યો હોવાની ચોક્કસ માહિતી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે ધરોઈ રેન્જ ફોરેસ્ટના અધિકારીઓએ ભીમપુર રેલવે ફાટક પાસે આવેલા તેમના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન શિકાર કરાયેલું પ્રાણી મળી આવતા વન વિભાગે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાઝડપાયેલા બંને આરોપીઓને સતલાસણા સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા અને તેમને 14 દિવસ માટે વડનગર સબ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 'શાહુડી એ શિડ્યુલ-1માં આવતું આરક્ષિત પ્રાણી'આ અંગે માહિતી આપતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, શાહુડી એ વાઇલ્ડ લાઈફ વન્ય પ્રાણી અધિનિયમ-1972 હેઠળ શિડ્યુલ-1માં આવતું આરક્ષિત પ્રાણી છે. અંધશ્રદ્ધા કે મોજશોખ ખાતર આવા આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરવો એ ગંભીર ગુનો બને છે. 3થી 7 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીના દંડની જોગવાઈતેને વધુમા કહ્યું કે, આ કાયદા અંતર્ગત ગુનાની ગંભીરતા મુજબ 3થી 7 વર્ષ સુધીની જેલની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. વન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વન્ય જીવોના રક્ષણ માટે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવી રહેલા કુખ્યાત ‘ઇરાની ડેરા’ના માસ્ટરમાઇન્ડ અને આંતરરાજ્ય ગેંગના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યો છે. 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો રાજુ ઈરાની એ નકલી CBI અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, જીવતા સળગાવવાના પ્રયાસ અને MCOCA જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ સમયથી પોલીસને ચકમા આપી રહ્યો હતો. ભોપાલના ‘ઇરાની ડેરા’માંથી ગેંગને ઓપરેટ કરતો આ ડકેત લૂંટના પૈસાથી લક્ઝરી કારો, મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડાનો શોખ પૂરો કરતો હતો. સુરત પોલીસે પૂર્વ બાતમીના આધારે આ ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારને કોઈ ગોળીબાર વગર દબોચી લીધો છે, જેનાથી દેશભરમાં ફેલાયેલા આ ખતરનાક ગેંગની કમર તૂટી ગઈ છે અને અનેક વર્ષોથી વણઉકેલાયેલા ગુનાઓના રહસ્યો ખુલવાની શરૂઆત થઈ છે. કોણ છે આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની?આરોપીનું આખું નામ આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલી ઈરાની છે. તે ભોપાલના કરોંદ વિસ્તારમાં આવેલી શિયા મસ્જિદ પાસેની અમન કોલોનીનો રહેવાસી છે. પોલીસ રેકોર્ડ પર તે માત્ર એક ચોર કે લૂંટારો નથી પણ એક ‘ગેંગ લોર્ડ’છે, જે અનેક રાજ્યોમાં સક્રિય અનેક પેટા-ગેંગોનું સંચાલન કરતો હતો. તેની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું છે કે, તે ગુનાખોરીની દુનિયામાં એક ચોક્કસ હાયરાર્કી જાળવતો હતો. પોલીસથી બચવા માટે તે સુરતના લાલ ગેટ પાસે આવ્યો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી હતી. વૃદ્ધો અને એકલા ફરતા નાગરિકોને CBI અધિકારીનો રૌફ આપીને લૂંટફાટ કરતાઆ ગેંગની સૌથી મોટી ખાસિયત તેમની નકલ કરવાની ક્ષમતા છે. તેઓ મોટાભાગે સફારી સૂટ પહેરીને ફરે છે અને પોતાની ઓળખ CBI અધિકારી કે ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપે છે. વૃદ્ધો અને એકલા જતા નાગરિકોને ટાર્ગેટ કરી તેઓ ‘પોલીસ’ હોવાનો રોફ જમાવે છે. આગળ ચેકિંગ ચાલુ છે, તમે સોનાના દાગીના પહેરીને કેમ ફરો છો? એવું કહીને તેઓ લોકોના ઘરેણાં કઢાવે છે અને રૂમાલમાં લપેટીને આપવાના બહાને નજર ચૂકવી અસલી ઘરેણાંની ચોરી કરી લે છે.
આજથી 12 જાન્યુઆરી સુધી PM મોદી ગુજરાતની મુલાકાતે આજથી થી 12 જાન્યુઆરી PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે.આજે PM દિલ્હીથી રાજકોટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે. સાંજે તેઓ 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં સહભાગી થશે. PMના સ્વાગતમાં 100 આહીરાણી મહારાસ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ઉભુ કરાશે ફાયર સ્ટેશન રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગ જેવી ઘટનાને પહોંચી વળવા માટે સ્થળ પર જ 'મિની ફાયર સ્ટેશન' કાર્યરત કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ અને સુરતમાં કાઇટ ફેસ્ટીવલનો પ્રારંભ રાજકોટ અને સુરતમાં કાઇટ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે. રાજકોટમાં પતંગ ચગાવવાની સાથે વિદેશી પતંગબાજો ગરબે ઘૂમ્યા.પરસોતમ રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ચગાવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ન્યુઝીલેન્ડના ક્રિકેટર્સ વડોદરાના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા આવતીકાલે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. જે પહેલા આજે ક્રિકેટરોએ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બીજી તરફ ન્યુઝીલેન્ડના ક્રિકેટર્સ વડોદરાના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા. તેઓ નાસ્તો કરવા માટે કાફેમાં ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શાતિર મહિલાએ 12 જ્વેલર્સને લાખોનો ચુનો લગાવ્યો અમદાવાદમાં એક શાતિર મહિલાએ 12 જ્વેલર્સને લાખોનો ચુનો લગાવ્યો. આ મહિલા દાગીના જોવાના બહાને જ્વેલર્સ શોપમાં ચોરી કરતી હતી. તે સોનાની વીંટીઓ લઈ બગસરાની વીંટીઓ પધરાવી દેતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાગેડુ નીરવ મોદીની બંધ કંપનીમાં આગ લાગી સુરતના સચિન વિસ્તારમાં આવેલી ભાગેડુ નીરવ મોદીની બંધ કંપનીમાં આગ લાગી. કંપનીને વર્ષોથી EDએ સીલ કરેલી છે. અને ત્યાં વીજ કનેક્શન પણ નથી. માટે આ આગની ઘટનાએ અનેક શંકાઓ ઉપજાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફ્લેટ-સોસાયટીમાં પીજી ચલાવવા માટે NOC ફરજિયાત અમદાવાદમાં ફ્લેટ કે સોસાયટીમાં પીજી-હોસ્ટેલ ચલાવવામાં માટે પોલીસ, ફાયર અને સોસાયટીનું NOC ફરજિયાત મેળવવાનું રહેશે. NOC વગરના પીજી-હોસ્ટેલ સીલ કરાશે.કાર્યવાહીના ભાગરૂપે આજે મેમનગરમાં ત્રણ પીજી મકાનો સીલ કરાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ચોરી કરવા આવેલા ચોરને સિક્યુરિટી ગાર્ડે ગોળી ધરબી વડોદરાના કરજણમાં વીજ કંપનીની કચેરીમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કરતા ચોરો અને સિક્યુરિટી જવાન વચ્ચે ભારે અથડામણ થઈ.ચોરોએ પથ્થરમારો કરતાં સિક્યુરિટી ગાર્ડે આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને હાથમાં ગોળી વાગી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બનાસકાંઠામાં દેશનું પહેલું 'ગૌભ્યારણ' બનશે બનાસકાંઠાના સુઈગામથી 30 કિ.મી. દૂર આવેલા ગોલપ નેસડા ગામે 20 કરોડના ખર્ચે દેશનું પહેલું 'ગૌભ્યારણ' બનશે. જેના લાભાર્થે આજે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં બોલીવુડ એક્ટર સોનુ સુદની હાજરીમાં કિર્તિદાન અને રાજભા ગઢવી ધૂમ મચાવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઠંડીના ચમકારા વચ્ચે તાપમાનનો પારો ઉંચકાયો રાજયમાં ઠંડીના ચમકારા વચ્ચે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચકાયો. સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું.આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મહીસાગર BOB RSETIમાં મોબાઈલ રિપેરિંગ તાલીમ:20થી વધુ યુવાનોને સ્વરોજગાર માટે નિઃશુલ્ક તાલીમ અપાઈ
મહીસાગર જિલ્લામાં બેંક ઓફ બરોડા પ્રાયોજિત BOB RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન) દ્વારા મોબાઈલ રિપેરિંગ અને સર્વિસની એક મહિનાની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 20થી વધુ યુવાનો જોડાયા હતા, જેનો મુખ્ય હેતુ તેમને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે. આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જેમાં તાલીમાર્થીઓને રહેવા, જમવા અને તાલીમ સામગ્રી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના નિર્દેશક ભાનુ પ્રકાશસિંઘ, માસ્ટર ટ્રેનર પ્રશાંત મિશ્રા અને ફેકલ્ટી નૈમેષભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમાર્થીઓને મોબાઈલ રિપેરિંગ ક્ષેત્રમાં રોજગારની તકો અને વ્યવસાય શરૂ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થી પીરજાદા મોહમ્મદ રબ્બાની, જે ખાનપુર તાલુકાના કારંટા ગામના રહેવાસી છે, તેમણે પોતાનો અનુભવ જણાવ્યો. તેમણે કહ્યું કે તેમને મોબાઈલ લાઈનમાં ત્રણ વર્ષનો અનુભવ હતો, પરંતુ સંપૂર્ણ રિપેરિંગ આવડતું ન હતું. RSETI માં એક મહિનાની તાલીમ દરમિયાન તેમને પ્રેક્ટિકલ અને થિયરી બંને રીતે ખૂબ સારી રીતે શીખવવામાં આવ્યું. હવે તેઓ પોતાનો મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય શરૂ કરવાની તૈયારીમાં છે. મોબાઈલ રિપેરિંગ તાલીમ આપતા પ્રશાંત મિશ્રાએ જણાવ્યું કે BOB RSETI મહીસાગર ખાતે વિવિધ પ્રકારની સ્વરોજગારલક્ષી તાલીમો આપવામાં આવે છે. હાલની મોબાઈલ રિપેરિંગ બેચમાં 20 જેટલા તાલીમાર્થીઓ છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને NCVET (ITI કક્ષાનું) અને બેંક ઓફ બરોડાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. મિશ્રાએ વધુમાં જણાવ્યું કે સંસ્થામાં ભાઈઓ અને બહેનો માટે સીવણકામ, બ્યુટી પાર્લર, આચાર-પાપડ બનાવટ, ઇલેક્ટ્રિક (હાઉસ વાયરિંગ, CCTV ફિટિંગ), AC-ફ્રિજ રિપેરિંગ જેવી અનેક તાલીમો ઉપલબ્ધ છે. તેમણે વધુમાં વધુ લોકોને આ તકનો લાભ લઈ આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. આ સંસ્થામાં નિઃશુલ્ક તાલીમ મેળવવા માટે ઈચ્છુક વ્યક્તિઓ સોમવારથી શનિવાર સવારે 10:00 થી સાંજના 05:00 કલાક સુધી સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે તેમની વેબસાઇટ www.bsvsmahisagar.com ની મુલાકાત લઈ શકાય છે અથવા રૂબરૂમાં એસ.કે. હાઇસ્કુલની પાછળ, ચરેલ રોડ, લુણાવાડા, મહીસાગર ખાતે સંસ્થાની મુલાકાત લઈ શકાય છે.
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં કાર્યરત '24X7 Club' નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપની દ્વારા સામાન્ય નાગરિકોને દર મહિને 10% રિટર્ન અને રોકાણના ત્રણ ગણા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આ કંપની પાસે થાપણો સ્વીકારવા માટે RBI કે SEBIનું કોઈ જ લાયસન્સ નહોતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મુખ્ય આરોપીના સાગરીતો એવા બે શખસોની ધરપકડ કરી છે. રોકાણના બદલામાં 90 રૂપિયાના ભાવવાળા 'ડિજિટલ પોઈન્ટ્સ' જમા કરવામાં આવતાઆ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચતુરાઈભરી હતી. તેઓ 24x7club.com નામની વેબસાઇટ દ્વારા મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ચેઇન ચલાવતા હતા. રોકાણકારો પાસેથી પૈસા મેળવી તેમને રોકડના બદલે વેબસાઇટ પર આઈ.ડી. બનાવી આપવામાં આવતા હતા. આ આઈ.ડી.માં રોકાણના બદલામાં 90 રૂપિયાના ભાવવાળા 'ડિજિટલ પોઈન્ટ્સ' જમા કરવામાં આવતા હતા. રોકાણકારોને એવી માયાજાળમાં ફસાવવામાં આવતા કે તેઓ જેટલા વધુ લોકોને જોડશે એટલું વધુ કમિશન મળશે, જેના કારણે આ છેતરપિંડીનો વ્યાપ ઝડપથી વધ્યો હતો. 3000થી વધુ લોકોના આઈ.ડી. બનાવી રોકાણ કરાવ્યું હતુંઆરોપી દીપક ડોબરીયા મૂળ ભાવનગરના ગારીયાધરનો વતની છે અને હાલ નાના વરાછા વિસ્તારમાં રહે છે. આ ગુનામાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે નાસતા ફરતા મુખ્ય આરોપી સાથે મળીને લોકોના આઈ.ડી. બનાવતો હતો અને રોકાણકારોના પૈસા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, દીપકે અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના આઈ.ડી. બનાવી રોકાણ કરાવ્યું હતું, જેના બદલામાં તેને દર મહિને આશરે 4,00,000 રૂપિયા જેટલું જંગી કમિશન મળતું હતું. શૈલેષે પોતાની વગનો ઉપયોગ કરીને 1500થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવ્યુંબીજો આરોપી શૈલેષ ધામેલીયા વ્યવસાયે ડોક્ટર છે અને તે મોટા વરાછા વિસ્તારમાં રહે છે. તે દીપક ડોબરીયાની નીચે પોતાની આઈ.ડી. બનાવીને આ કૌભાંડમાં જોડાયો હતો. શૈલેષે પોતાની વગનો ઉપયોગ કરી જુદા જુદા 1500થી વધુ લોકોના આઈ.ડી. બનાવી તેમાં કરોડોનું રોકાણ કરાવ્યું હતું. લોકોને રોકાણ ત્રણ ગણું કરવાની લાલચ આપી તે પૈસા ઉઘરાવી ડિજિટલ પોઈન્ટ્સ આપતો હતો. આ કામગીરી માટે તેને દર મહિને આશરે 2,00,000 રૂપિયાનું કમિશન મળતું હતું. મોબાઈલ, લેપટોપ અને દસ્તાવેજો મળીને 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, 1 લેપટોપ, રોકાણકારોની વિગતો દર્શાવતી 10 ડાયરીઓ અને અનેક દસ્તાવેજી કાગળો મળી કુલ 1,47,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડાયરીઓમાં થયેલા હિસાબો પરથી જણાય છે કે આ કૌભાંડનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. હાલ પોલીસ આ ડેટાના આધારે કેટલા લોકો ભોગ બન્યા છે તેની ચોક્કસ વિગતો મેળવી રહી છે. MLM જેવી સ્કીમોમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકેસાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, આ ઠગાઈમાં મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે, જે આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી મળતી વિગતોના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમોએ મુખ્ય સૂત્રધારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્કના તાર અન્ય શહેરો સુધી પણ જોડાયેલા હોઈ શકે છે. સુરત સાયબર ક્રાઇમ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ આર્થિક રોકાણ કરતા પહેલા તે કંપની પાસે RBI કે SEBIની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવી. વધુ વળતરની લાલચમાં આવીને MLM જેવી સ્કીમોમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. જો કોઈ નાગરિક આ 24X7 Clubનો ભોગ બન્યો હોય તો તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
જામનગરમાં 46 CSC સેન્ટરોના ID બ્લોક:નિયમ ભંગ, રેટ લિસ્ટ અને બ્રાન્ડિંગ ન હોવાથી કાર્યવાહી
જામનગર જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલિત કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારા 46 જેટલા CSC સેન્ટરોના લોગીન આઈડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી મુખ્યત્વે સેન્ટરની બહાર CSCનું બ્રાન્ડિંગ ન લગાવવું, સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અને અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) ન હોવા જેવી ગંભીર ક્ષતિઓને કારણે કરવામાં આવી છે. જિલ્લાના CSC મેનેજર નિકુંજ ઠેસીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલમાં 1300થી વધુ CSC સેન્ટરો કાર્યરત છે, જે નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબત ધ્યાને આવતા પ્રાથમિક તબક્કે 46 સેન્ટરોના આઈડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેટ ચાર્ટ પ્રદર્શિત કરતા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે. CSC સંચાલકો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે, જેમાં દરેક સંચાલકે પોતાના સેન્ટર પર ફરજિયાત બોર્ડ લગાવવું પડશે અને ગ્રાહકો જોઈ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ મૂકવું પડશે. વધુમાં, દરેક સંચાલક માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) હોવું હવે અનિવાર્ય છે. જિલ્લા મેનેજરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં અને નિયમ ભંગ કરનાર સંચાલકો સામે જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
તાજેતરમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના પગલે કોળી સમાજમાં ભારે પડઘા પડ્યા છે, જેના ભાગરૂપે આજે કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી અધેવાડા શિવકુંજ આશ્રમથી 100થી વધુ કારના કાફલા સાથે બગદાણા મુકામે નવનીતભાઈ ના ઘરે જવા રવાના થયા હતા, દિવ્યેશભાઈ અને કોળી સમાજના અનેક આગેવાનો તેમજ કાર્યકરોએ બગદાણા સ્થિત નવાગામ રોડ, હજીરા પાસે આવેલા નવનીતભાઈના નિવાસ્થાને મુલાકાત લેશે, આ મુલાકાત દરમિયાન તેમણે નવનીતભાઈના ખબર-અંતર પૂછશે અને આ ઘટનાને લઈ આગામી સમયમાં સમાજહિત, એકતા અને ન્યાય મેળવવા બાબતે ગહન ચર્ચા કરશે, આ વિશાળ કાફલાએ સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,અમારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે, સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારેય પણ થાય તો હીરાભાઈ સોલંકીએ પણ એમની મુલાકાત લીધી હતી એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી હતી, આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય-મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે, ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક શુભેચ્છા મુલાકાત લેવા જઈ રહ્યા છે એ એમના ઘરે જાય અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે, એની માટે એક મુલાકાત લેવા જાય છે એમના ખબર-અંતર લેવા. હું એ સમયે CM સાથે રજૂઆત કરવા ગયો હતો, સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌર્ય મંડળ સાથે CM ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારેય પણ... મેં ફરીવાર હું કહું છું, આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી. હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કે કડક પગલાં લેશે.
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની સોશિયલ ફેકલ્ટી ખાતે ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સંભવ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.આ સેમિનાર વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો અને નશા સામે જાગૃતિ ફેલાવવાનો હતો. સેમિનારમાં નશાની લતના ગંભીર દૂષણો, તેની શારીરિક, માનસિક અને સામાજિક અસરો તેમજ ડ્રગ્સ સંબંધિત કાનૂની જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. યુવાનોને નશાથી દૂર રહી, સકારાત્મક જીવનશૈલી અપનાવી અને સમાજને નશામુક્ત બનાવવામાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ નશા સામે જાગૃતિ ફેલાવી યુવાનોને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જવાના સંદેશ પર ભાર મૂક્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી રાજ્ય બજેટમાં વેપારીઓની અપેક્ષાઓ અને તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજવાનો હતો. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન તેઓએ વડોદરાના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો ઉલ્લેખ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું કે જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યોના કામ અધિકારીઓ નથી કરતા, ત્યારે સામાન્ય જનતાની સ્થિતિ અત્યંત દયનીય હશે. દુકાને રૂબરૂ જઈને બજેટલક્ષી મુદ્દાઓ પર ચર્ચા ગોપાલ ઇટાલિયાએ મિલેનિયમ માર્કેટના વિવિધ વેપારીઓની દુકાને રૂબરૂ જઈને બજેટલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વેપારીઓએ આગામી બજેટમાં કાપડ ઉદ્યોગ માટે વિશેષ રાહતો, જીએસટીના જટિલ નિયમોમાં સરળીકરણ અને સુરતના ટેક્સટાઇલ હબને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળે તેવી જોગવાઈઓ કરવાની માંગ કરી હતી. ઇટાલિયાએ આ તમામ મુદ્દાઓને સરકાર સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. 'ઈમાનદાર વેપારીઓને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે'મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સુરતના વેપારીઓમાં એક અજ્ઞાત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓએ સવાલ કર્યો હતો કે, કાપડના વેપારીઓ કોઈ દારૂ કે ડ્રગ્સનો ગેરકાયદે વેપાર નથી કરતા, તો પછી તેઓએ ડરવાની શું જરૂર છે? તેમણે આક્ષેપ કર્યો કે, જેઓ ખરેખર નશાનો કારોબાર કરે છે તે ખુલ્લેઆમ ફરે છે, જ્યારે ઈમાનદાર વેપારીઓને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન શરૂ કરવા રજૂઆતવેપારીઓએ ધારાસભ્યને જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં છેતરપિંડીના કિસ્સાઓ રોકવા માટે એક સમર્પિત પોલીસ સ્ટેશનની જરૂર છે. વર્ષોથી આ માંગણી પેન્ડિંગ છે. આ સાંભળી ઇટાલિયાએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને તાત્કાલિક અસરથી ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન શરૂ કરવા અને વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રજૂઆત કરશે. ઈટાલિયાની કૈલાશ હકીમ સાથે ટેલિફોનિક વાતબજેટમાં વેપારીઓની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે ઇટાલિયા ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) ની ઓફિસે પણ પહોંચ્યા હતા. જોકે, ત્યાં કોઈ ડિરેક્ટર હાજર ન હોવાથી તેમણે કૈલાશ હકીમ સાથે ટેલિફોનિક વાત કરી હતી. રસપ્રદ વાત એ રહી કે એકતરફ વેપારીઓ અનેક મુશ્કેલીઓ ગણાવી રહ્યા હતા, જ્યારે બીજી તરફ કૈલાશ હકીમે ફોન પર જણાવ્યું હતું કે વેપારીઓને કોઈ જ સમસ્યા નથી. 'આખી સરકાર 'ડામાડોળ' અને વહીવટી તંત્ર પર કોઈનો કાબૂ નથી'વડોદરાના ધારાસભ્યોની અધિકારીઓ સામેની નારાજગી અંગે ઇટાલિયાએ તંત્ર પર પ્રહારો ચાલુ રાખતા કહ્યું કે, જો ધારાસભ્યોના પત્રોની કિંમત નથી રહી, તો એનો અર્થ એ છે કે મુખ્યમંત્રી પણ લાચાર છે. તેમણે કટાક્ષ કર્યો કે કદાચ મુખ્યમંત્રી પોતે પણ પત્ર લખવા માંગતા હશે કે સચિવો તેમનું સાંભળતા નથી. આખી સરકાર 'ડામાડોળ' છે અને વહીવટી તંત્ર પર કોઈનો કાબૂ નથી. અંતમાં, ગોપાલ ઇટાલિયાએ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓ ગમે તે પક્ષ સાથે જોડાયેલા હોય, પરંતુ એક ધારાસભ્ય તરીકે તેઓ વેપારીઓના પડખે ઉભા રહેશે. પેમેન્ટ ફ્રોડ, જીએસટીની પજવણી અને બજેટમાં અન્યાય જેવા મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહેશે તેવી તેમણે જાહેરાત કરી હતી.
ચોટીલા ડુંગર તળેટીમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાળુઓને અવરજવરમાં કોઈ અગવડ ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડુંગર તરફ જતા 40 ફૂટ પહોળા રસ્તા પર દુકાનદારો દ્વારા આશરે 10-10 ફૂટનું દબાણ કરીને રસ્તો 20 ફૂટ જેટલો સાંકડો કરી દેવાયો હતો. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. સાથે મળીને આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આવેલી આશરે 400 થી 450 દુકાનો દ્વારા પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરીને દબાણ કરવામાં આવ્યું હતું. દુકાનદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ દૂર ન થતાં સવારે 10 કલાકે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઝુંબેશમાં મોજે નાના પાળીયાદ અને ચોટીલાની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતા. મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલું ત્રણ માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. ખુલ્લી કરાયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે અને રસ્તાને વિકાસ પથ/સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારી જમીનની જાળવણી માટે વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયના નવીન ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. શામળાજી મહોત્સવ 2025-26 અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત મહેમાનોએ નવીન ગ્રંથાલય ભવનની મુલાકાત લીધી હતી. તેમણે પુસ્તક પ્રદર્શન અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાંચનપ્રેમી જનતા ઉપરાંત વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા-મૂંગા શાળા, મોડાસાની બાળાઓ પણ હાજર રહી હતી. મહેમાનોએ ગ્રંથાલયમાં ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગ્રંથાલય નિયામક, ડૉ. પંકજભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમના સૂચનો અને તમામ સ્ટાફગણની મહેનતથી આયોજન સફળ રહ્યું.
મંદી વચ્ચે નવસારી મેગા ટ્રેડ ફેર સફળ:100 સ્ટોલ્સ પર 45,000થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા
નવસારીમાં છેલ્લા 17 વર્ષથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 'મેગા ટ્રેડ ફેર'નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ટ્રેડ ફેર ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્તમાન ઔદ્યોગિક મંદીના માહોલ વચ્ચે પણ આ ફેરે નાના ઉદ્યોગ સાહસિકો માટે આશાનું કિરણ જગાવ્યું છે. અત્યાર સુધીમાં 45,000થી વધુ નાગરિકોએ આ મેળાની મુલાકાત લીધી છે. આ ટ્રેડ ફેરમાં અંદાજિત 100 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ગ્રાહકોને એક જ છત નીચે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ બની રહી છે. તેમાં ઘર વપરાશની વસ્તુઓ જેવી કે કિચન વેર અને હોમ ડેકોર, લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સીસ, પર્યાવરણને અનુકૂળ ઈ-બાઈક્સનું પ્રદર્શન, ટ્રેન્ડી કપડાં અને એસેસરીઝનો સમાવેશ થાય છે. મુલાકાતીઓ માટે લિજ્જતદાર વાનગીઓના ફૂડ કોર્ટ સ્ટોલ્સ પણ ઉપલબ્ધ છે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, આ મેગા ટ્રેડ ફેર યોજવા પાછળનો મુખ્ય હેતુ શહેરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને એક મંચ પૂરો પાડવાનો છે. મંદીના વાતાવરણમાં પણ ગ્રાહકોને સ્ટોલ સુધી ખેંચી લાવવામાં આ પ્રદર્શન ખૂબ જ સફળ રહ્યું છે, જે સ્થાનિક વેપાર માટે સકારાત્મક સંકેત આપે છે. વેપારી કૃણાલ ચાવડા જણાવે છે કે મેગા ટ્રેડ ફેર માં એ ફાયદો છે કે તે વર્ષમાં એક જ વાર અહીં આવે છે, અને એક જ છત નીચે તમને 100 થી વધુ સ્ટોલ જોવા મળે છે. આવા સ્ટોલ સામાન્ય રીતે કોઈ એસી મોલમાં જ જોવા મળે, જ્યાં એક સામાન્ય વ્યક્તિ સરળતાથી જઈ શકતી નથી. પરંતુ, આ એક એવી ખુલ્લી જગ્યા છે જ્યાં ટિકિટ વગરના પ્રવેશ સાથે, તમે એક જ સ્થળે કન્ઝ્યુમર આઈટમ્સથી લઈને ઘરવખરીના સામાન સુધીની અનેક પ્રોડક્ટ્સ જોઈ શકો છો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે, જેનાથી અમારા વ્યવસાયમાં 70% જેટલો વધારાનો વેગ મળે છે. હાલમાં બજારમાં ભલે મંદી હોય, પણ અમને અહીં મંદી જેવું લાગતું નથી. દર વખતે અમે અહીંથી પ્રોત્સાહિત થઈને જઈએ છીએ અને અમારી પાસે 300 થી 500 ગ્રાહકોનો એક કાયમી બેઝ બનેલો રહે છે.જોવા જઈએ તો, વર્ષોવર્ષ જ્યારે અમે અહીં આવતા હોઈએ છીએ, ત્યારે બીજા કે ત્રીજા વર્ષે એ જ જૂના ગ્રાહકો અમને વારંવાર મળે છે, તેથી બિઝનેસમાં ગ્રોથનું પ્રમાણ પણ વધતું રહે છે. અમને દર વખતે 30% થી 70% જેટલો બિઝનેસ બુસ્ટ અહીં જોવા મળે છે.
આણંદમાં મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો:વડતાલ-જોળ રોડ પરથી 9 મોબાઈલ ચોરનાર LCBની પકડમાં
આણંદ LCBએ ચોરીના ૯ મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી આરીફ યુસુફભાઈ વ્હોરાએ વડતાલ-જોળ રોડ પરની એક દુકાનમાંથી મોબાઈલ ચોર્યાની કબૂલાત કરી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આરીફ વ્હોરા ચોરીના મોબાઈલ વેચવા માટે આણંદના શાસ્ત્રી મેદાન નજીક આવવાનો છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરીફને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સ્કૂલ બેગમાંથી અલગ અલગ કંપનીના ૯ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૨,૧૨,૯૯૧/- આંકવામાં આવી છે. મોબાઈલ ફોન અંગે બિલ કે માલિકીના પુરાવા માંગતા આરીફે ગલ્લાંતલ્લાં કર્યા હતા. બાદમાં સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે તેના અન્ય બે સાથીદારો સાથે મળીને વડતાલ-જોળ રોડ પર આવેલી એક દુકાનનું શટર તોડી આ મોબાઈલ ચોર્યા હતા. LCBએ BNS S કલમ-૧૦૬ હેઠળ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી આરીફ વ્હોરાને વધુ તપાસ માટે તેને વડતાલ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
યુવકે ઝેરી દવા પીધી, જીવ બચ્યો:પંચમહાલના શહેરામાં અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ
પંચમહાલના શહેરા તાલુકાના ધામરોડ સરાડીયા ગામે એક ૨૫ વર્ષીય યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ધામરોડ સરાડીયા ગામનો રહેવાસી વિજય પટેલ (ઉં.વ. ૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ખેતીના પાક રક્ષણ માટે વપરાતી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકની તબિયત લથડતા પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ કેસની ગંભીરતા જોઈને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તબીબોની અથાગ મહેનત અને યોગ્ય સારવારને કારણે વિજય પટેલનો જીવ બચાવી શકાયો હતો. હાલ યુવકની હાલતમાં સુધારો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી.
ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં TP સ્કીમના અમલની માગ કરાઈ છે. જે મુજબ મહેસાણા નગરપાલિકાએ વર્ષ 2002માં રોડ પહોળો કરવા વળતર ચૂકવીને જમીન લીધી હતી, પણ રોડ પહોળો થયો નથી. સાંકડા રોડ ઉપર અકસ્માતો થાય છે અને ત્યાં ફરી દબાણ થઈ ચૂક્યા છે. દુકાનો બનાવી જાહેર જગ્યા ઉપર દબાણ સર્જાયુંમહેસાણા શહેરમાં આ રોડ ક્રિષ્ના શોપિંગ સેન્ટરથી ભમ્મરીયા નાળા તરફનો રોડ છે. જેની પાસેથી આ જમીન નગરપાલિકાએ લીધી હતી તે જમીન ધારકો મોટા ધંધાદારીઓ છે. જેઓએ ફરીથી આ જમીન ઉપર કબજો જમાવી દીધો છે. ત્યાં દુકાનો બનાવી તેને આગળ વધારી છે. જેનાથી જાહેર જગ્યા ઉપર દબાણ સર્જાયું છે. મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિક સર્જાય છે. હાઇકોર્ટે મહેસાણા નગરપાલિકા પાસે જવાબ માગ્યોહાઇકોર્ટ સમક્ષ અરજદારે મહેસાણા નગરપાલિકાને યોગ્ય પગલા લે તેવી માગ કરી છે. રોડ પહોળો કરવા માંગ કરાઈ છે. હાઇકોર્ટે મહેસાણા નગરપાલિકા પાસે જવાબ માગ્યો છે કે જે દબાણ ઉપરોક્ત જમીન ઉપર થયું છે, તેને દૂર કરવા શું કર્યું ? આ અંગે વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ રાખવામાં આવેલ છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામમાં એક 45 વર્ષીય યુવકનું ઊંઘતા-ઊંઘતા બીડી પીવાના કારણે લાગેલી આગમાં દાઝી જવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું મોત થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સળગતી દીવાસળી ફેંકતા તે ગોદડામાં પડી ને આગ ભભૂકીમળતી માહિતી અનુસાર નરસિંહપુરા ગામના રહેવાસી આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેમને બીડી પીવાની આદત હતી. ગત તા. 7 જાન્યુઆરીએ વહેલી સવારે લગભગ 5 વાગ્યે તેઓ ઊંઘમાંથી જાગ્યા અને બીડી સળગાવવા માટે માચીસ સળગાવી હતી. સળગતી દીવાસળી ફેંકતા તે ગોદડામાં પડી ગઈ હતી. જેના પરિણામે ગોદડામાં આગ ભભૂકી ઉઠી હતી અને યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર માટે વડુ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યુંત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન આજે મૃત્યુ થયું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વેજલપુરમાં એક મહિલાને રસ્તામાં બે બાઈક ચાલકોએ ઊભા રાખીને મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ મહિલાને બાઇક ચાલકે પોતે ભૂવો હોવાનું કહીને 1 રૂપિયાની સામે 100 રૂપિયા આપ્યા હતા. મહિલાને વાતોમાં રાખી હિપ્નોટાઇઝ કરીને બાઈકચાલકે મહિલાના હાથમાં પહેરેલા દાગીના ઉતારી લીધા હતા. પોલીસે મહિલાના દાગીના ઉતારી લેનાર આરોપીની ધરપકડ કરી છે. મહિલાને વિશ્વાસમાં લઈને હિપ્નોટાઇઝ કરીને હાથમાં પહેરેલા સોનાની બંગડીઓ લઈને ફરાર23 નવેમ્બરના રોજ વેજલપુરમાં એક વૃદ્ધ મહિલા મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે એક બાઇક પર બે શખસો આવ્યા હતા, જેમણે મહિલાને ખોડિયાર માતાના મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ મહિલાને વાતોમાં રાખીને મહિલા પાસે એક રૂપિયો માંગ્યો હતો. મહિલાએ એક રૂપિયો આપતા મહિલાને સામે 100 રૂપિયા આપ્યા હતા, જે બાદ મહિલાને વિશ્વાસમાં લઈને હિપ્નોટાઇઝ કરીને તેના હાથમાં પહેરેલા સોનાની બંગડીઓ લઈને બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપી વિરુદ્ધ જુદા-જુદા શહેરોમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છેમહિલાને ઘરે જઈને જાણ થઈ હતી કે, તેમની સાથે આ બનાવ બન્યો છે. જેથી, તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઝોન-7 DCPના LCB સ્કોડના પી.આઇ. વાય.પી જાડેજાની ટીમે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સોનાના દાગીના સાથે સુનિલ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીના વિરુદ્ધમાં અમરેલી, મહેસાણા, ગીર-સોમનાથ, દહેગામ સહિત અલગ-અલગ જગ્યાએ ગુના નોંધાઈ ચૂક્યા છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ હોટેલ કમ્ફર્ટ ઇન અને નાયરા પેટ્રોલ પંપ વચ્ચેના ટ્રક પાર્કિંગમાંથી એક આઇસર કન્ટેનરમાંથી વડોદરા શહેર પીસીબીની ટીમે 33.74 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. PCBએ તપાસ કરતા ચોરખાનું મળી આવ્યુંવડોદરા પીસીબીને મળેલી બાતમી અનુસાર, આ કન્ટેનરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભોર્યો હતો અને તેમાં એક ડ્રાઇવર હાજર હતો. આ માહિતીના આધારે ટીમે સ્થળ પર રેડ કરી હતી અને તપાસ કરતાં કન્ટેનરમાં ચોરખાનું બનાવીને સંતાડી રાખેલી ભારતીય બનાવટની વ્હિસ્કી તથા બીયરની 3564 બોટલ મળી આવી હતી. જેને પગલે PCBની ટીમ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીની વિગત રમેશકુમાર ઉર્ફે કાલુરામ ગીરધારીરામ ખીંચડ (બિશ્નોઇ), રહેવાસી- આદુરામ જાનીની શાળા પાસે, કરવાડા, તા. રાણીવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન. આરોપી સામે અગાઉ આણંદ પકડાયેલા આરોપી રમેશકુમાર ઉર્ફે કાલુરામ ગીરધારીરામ ખીંચડ સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત બે ગુના નોંધાયેલા છે, જેમાં એક ગુનો આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન અને બીજો ગુનો અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. વોન્ટેડ આરોપીનું નામફૌજી નામનો ઈસમ (જેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો) કબજે કરાયેલ મુદ્દામાલ અને કિંમત
પાટણ શહેરની શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષનો આરોપ : લાકડી-ધોકા વડે હુમલો કર્યોપ્રથમ પક્ષે, પ્રકાશભાઈ રામાભાઈ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘર આગળ પાણી ઢોળવા બાબતે સોનાબેન પટણી સાથે બોલાચાલી થઈ હતી. સમાધાન થયા બાદ બીજા દિવસે તેમનો દીકરો ચિરાગ ઘરે આવતા આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. આરોપી સુનીલે લાકડાની ઈશ વડે પ્રકાશભાઈના માથા અને આંખ પાસે ગંભીર ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓ વિજય, વિશાલ, ક્રીશ અને સાગરે લાકડી-ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં વચ્ચે પડેલા સુજલને આરોપી વિજયે તલવાર વડે અને વિશાલે ઈંટ વડે માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે વિજયભાઈ બાબુભાઈ પટણી, વિશાલભાઈ, ક્રીશભાઈ, સુનિલભાઈ, સાગરભાઈ અને સોનાબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બીજા પક્ષનો આરોપ : તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યોસામા પક્ષે, વિજયભાઈ બાબુભાઈ પટણીએ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા કલાબેન પટણીએ પાણી ઢોળતા થયેલી બોલાચાલીની અદાવતમાં આ હુમલો થયો હતો. ફરિયાદ મુજબ, ચિરાગ પ્રકાશભાઈ પટણી ગાળો બોલતો હોવાથી તેને સમજાવવા ગયેલા ક્રીશ પર ચિરાગ અને સુજલે તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોએ પથ્થરમારો કરી વિજયભાઈના પત્ની અને માતાને પણ ઈજા પહોંચાડી હતી. આરોપી પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે વિજયભાઈના કપાળ અને કાંડા પર માર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે આ ફરિયાદના આધારે પ્રકાશભાઈ રામાભાઈ પટણી, સુજલભાઈ, ચિરાગભાઈ, કલાબેન અને ખુશીબેન વિરુદ્ધ રાયોટીંગ અને હુમલા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વન-ડે મેચ પૂર્વે ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં આજે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ટીમની તૈયારીઓ અને વર્લ્ડ કપના લક્ષ્યાંક વિશે મહત્વની વાતો કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોએ મેદાન પર બેટિંગ પ્રેક્ટિસ કરીને પરસેવો પાડ્યો હતો, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વડોદરાના રસ્તાઓ પર લટાર મારતા અને કાફેમાં નાસ્તો કરતા જોવા મળતા ક્રિકેટપ્રેમીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. કેપ્ટન ગિલે સ્ટેડિયમની અત્યાધુનિક સુવિધાઓ અને વડોદરાની જનતાના અભૂતપૂર્વ પ્રેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રોહિત-વિરાટ જેવા અનુભવી ખેલાડીઓની હાજરીથી તેમનું કામ સરળ બની જાય છે અને ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવા સજ્જ છે. 'ICC ટુર્નામેન્ટ જીતવા માટે ઘણી સતત મહેનત અને મજબૂત નિશ્ચયની જરૂર'ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈ પણ ફોર્મેટ તેના મૂળ સ્વરૂપમાં સરળ હોય છે. જો તમે જોશો તો, ભારતીય ટીમે 2011 પછી વર્લ્ડ કપ નથી જીત્યો. જો તે આટલું જ સરળ હોત, તો આપણે દર બીજા વર્ષે વર્લ્ડ કપ જીતતા હોત. કહેવું સરળ છે, પણ કોઈ પણ ફોર્મેટ સહેલું નથી હોતું. મોટી ICC ટુર્નામેન્ટ જીતવા માટે ઘણી સતત મહેનત અને મજબૂત નિશ્ચયની જરૂર હોય છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને દરેક સિરીઝ ખૂબ જ મહત્વની: ગીલઅમે કોઈ પણ સિરીઝ રમીએ, તેની પાછળ હંમેશા એક ચોક્કસ ધ્યેય કે લક્ષ્ય હોય છે. અત્યારે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને દરેક સિરીઝ ખૂબ જ મહત્વની છે. ટીમ કોમ્બિનેશન ચકાસવા માટે અને કયો ખેલાડી કઈ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે છે તે જાણવા માટે આ શ્રેણી અગત્યની છે. મેં મારી કારકિર્દીમાં અત્યાર સુધી પાંચ વનડે મેચોની સિરીઝ બહુ રમી નથી, સામાન્ય રીતે અમને ત્રણ મેચોની સિરીઝ જ રમવા મળે છે. તેથી, આ ઓછી તકોમાં શ્રેષ્ઠ કોમ્બિનેશન શોધી કાઢવું એ અમારો મુખ્ય પ્રયાસ રહે છે. 'મારી ન્યુઝીલેન્ડ સામે રમવાની યાદો હંમેશા ખાસ રહી છે'મારો એવો વિશ્વાસ છે કે, હું અત્યારે જીવનમાં ત્યાં જ છું જ્યાં મારે હોવું જોઈએ. જે મારા નસીબમાં લખેલું છે તે કોઈ છીનવી શકતું નથી. હા, એક ખેલાડી તરીકે ચોક્કસ એવું મનમાં હોય કે હું પણ વર્લ્ડ કપ રમીને દેશને જીતાડું, પરંતુ હું પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરું છું. હું ટી-20 ટીમને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવે. ન્યુઝીલેન્ડ સામે રમવાની યાદો હંમેશા ખાસ રહી છે. મારો ડેબ્યુ પણ તેમની સામે જ થયો હતો અને અંડર-19માં પણ અમે ત્યાં રમવા ગયા હતા. ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ છે અને તેમની સામે રમવા માટે હું હંમેશા ઉત્સાહિત રહું છું. રોહિત અને કહોલી જેવા દિગ્ગજ બેટ્સમેનો સાથે રમવાની તક ખૂબ અમુલ્યરોહિત અને વિરાટ જેવા ખેલાડીઓ ટીમમાં હોય ત્યારે કામ ઘણું સરળ થઈ જાય છે. રોહિત વન-ડે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓપનર્સમાંથી એક છે અને વિરાટ પણ વન-ડેના દિગ્ગજ બેટ્સમેન છે. જ્યારે પણ ટીમ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે તેમની પાસે જઈને સલાહ લેવી ખૂબ જ મદદરૂપ થાય છે. એક કેપ્ટન તરીકે તેમની અનુભવી વાતો મારા માટે અમૂલ્ય છે. ભારતમાં બીજી ઇનિંગમાં ઝાકળના કારણે બોલિંગ થોડી મુશ્કેલઅમે કોઈ પણ હરીફ ટીમને નબળી રીતે જોતા નથી, પછી ભલે તેઓ ગમે તે સ્થિતિમાં હોય. અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારી પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો હોય છે. ભારતમાં રમાતી મેચોમાં, ખાસ કરીને બીજી ઇનિંગમાં જ્યારે બોલિંગ કરવાની હોય છે, ત્યારે ઝાકળને કારણે બોલિંગ કરવી થોડી અઘરી બની શકે છે. તેથી, અમે એવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા માગીએ છીએ જ્યાં અમારા બોલરો આવી સ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરી શકે. જો અમે મેચમાં કોઈ પણ દબાણ હેઠળ રન ચેઝ કરી શકીએ, તો એક ટીમ તરીકે અમારો આત્મવિશ્વાસ વધશે. 'એરપોર્ટ પર આવ્યા ત્યારે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ એવું લાગ્યું' અમારા ચાહકો માટે મારો એ જ સંદેશ છે કે, હું પ્રથમ વખત આ સ્ટેડિયમમાં રમી રહ્યો છું અને આ ખૂબ જ શાનદાર સ્ટેડિયમ છે. જે રીતે ચાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે અમે વડોદરા એરપોર્ટ પર આવ્યા ત્યારે તો એવું લાગ્યું હતું કે જાણે અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ!. સ્ટેડિયમ હોય, પ્રેક્ટિસ સેશન હોય કે હોટલની બહાર, ચાહકોનો જે પ્રેમ મળી રહ્યો છે તે અદભૂત છે. અમારી પણ એ જ કોશિશ રહેશે કે અમે મેચમાં સારું પ્રદર્શન કરીને તેમને ઘણી બધી યાદગાર ક્ષણો આપી શકીએ. ખૂબ જ સરસ ગ્રાઉન્ડ છે અને સુવિધાઓ પણ ઉત્તમ છે. ખાસ કરીને અહીં રિકવરી રૂમ અને અન્ય સવલતો જે રીતે તૈયાર કરવામાં આવી છે, તે સામાન્ય રીતે દરેક સ્ટેડિયમમાં જોવા નથી મળતી. ગ્રાઉન્ડ અને પ્રેક્ટિસ વિકેટ્સ પણ ખૂબ જ સારી છે, જેના પર પ્રેક્ટિસ કરવાની મજા આવી.
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત કુલ 40,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. આ ફોર્મ જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાંથી 8 જાન્યુઆરી, 2026 સુધીમાં મળ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના નેતૃત્વ હેઠળ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. SIR કાર્યક્રમ હેઠળ 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી હકક દાવા અને વાંધા-અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. 8 જાન્યુઆરી, 2026 સુધીમાં પ્રાપ્ત થયેલી અરજીઓ મુજબ, ફોર્મ નંબર 6 (નવું નામ ઉમેરવા) હેઠળ 23,003 અરજીઓ, ફોર્મ નંબર 7 (નામ કાઢવા અથવા વાંધા માટે) હેઠળ 2,582 અરજીઓ અને ફોર્મ નંબર 8 (નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારા) હેઠળ 14,540 અરજીઓ રજૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર યાદીમાંથી બાકાત ન રહે અને કોઈ પણ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય.
ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વનો ઉત્સાહ ચરમસીમા પર છે, ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા વીજ અકસ્માતો ટાળવા માટે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પતંગ ચગાવતી વખતે અને લૂંટતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ભરૂચ DGVCLના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એચ.ટી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઉતરાયણ દરમિયાન વીજ અકસ્માતો અટકાવવા માટે કંપનીએ મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓ જાહેર કરી છે. જેમાં ખુલ્લા વીજ તારોથી દૂર રહેવું, પતંગ છોડાવવા માટે લંગર ન નાખવું અને વીજ થાંભલાઓ પર ન ચઢવા જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લંગર નાખવાથી વીજ તારો એકબીજા સાથે અથડાઈ શકે છે, જેનાથી મોટો ભડાકો થવાની અને વીજ ઉપકરણોને નુકસાન થવાની શક્યતા રહે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ અત્યંત જોખમી છે અને આવા પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની દોરીઓ પાવર લાઈનોને નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જી શકે છે. કોઈપણ વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકો DGVCLના ટોલ ફ્રી નંબર 1800 233 3003, 19123 અથવા વોટ્સએપ નંબર 63570 97833 પર સંપર્ક કરી શકે છે. DGVCL દ્વારા તમામ નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરીને ઉતરાયણ પર્વને આનંદપૂર્વક અને સુરક્ષિત રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહેમાન બનવાના છે. આ પ્રવાસને લઈને ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈ આવતીકાલથી બે દિવસ માટે પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. જેમાં 10 IPS સહિત 1800ની ફૌજનો લોખંડી પોલીસ બંદોબસ્ત રહેશે. આવતીકાલે ગાંધીનગરવાસીઓને મેટ્રોની ભેટ મળશેPMના બે દિવસીય પ્રવાસ અન્વયે આવતીકાલે પ્રથમ દિવસે એટલે કે 11 જાન્યુઆરીની સાંજે ગાંધીનગરવાસીઓને મેટ્રોની ભેટ મળશે. પીએમ મોદીના હસ્તે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ 12 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મન પ્રતિનિધિ મંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં દ્વિપક્ષીય સંબંધો અને રોકાણ અંગે ચર્ચાઓ થવાની શક્યતા છે. 10 IPS સહિત 1800ની ફૌજનો લોખંડી બંદોબસ્તવડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આગમનને લઈ 10થી વધુ આઈપીએસ, 20 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફોર્સમાં 50પીઆઈ, 100થી વધુ પીએસઆઈ અને આશરે 1800 પોલીસ કોન્સ્ટેબલ્સ ખડેપગે રહેશે. મેટ્રો સ્ટેશનની નીચે સામાન્ય જનતા પણ આ આધુનિક સુવિધા નિહાળી શકે તે માટે મનપા અને પોલીસના સંકલનથી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન ત્યારે પીએમના રૂટ અને કાર્યક્રમના સ્થળોને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે. નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરે જેથી કોઈ મુશ્કેલી ન પડે. પીએમના આગમનને લઈને આ રસ્તા બંધજે અન્વયે 11 જાન્યુઆરી બપોરે 2થી 12 જાન્યુઆરી સવારે 10 સુધી 'ચ-0' સર્કલથી સેક્ટર-30 સર્કલ સુધીનો 'જ' રોડ સંપૂર્ણ બંધ રહેશે.ઉપરાંત 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી 'ક' રોડ હોટલ લીલાથી સેક્ટર-13 રેલવે સ્ટેશન ચોકડી સુધીનો માર્ગ બંધ રહેશે. એજ રીતે 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી ખ-3 સર્કલથી સાંઈ ચાર રસ્તા મહાત્મા મંદિર સુધીનો મુખ્ય રોડ પ્રતિબંધિત રહેશે. આ વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનતદુપરાંત શહેરના મહત્વના સર્કલો અને સર્વિસ રોડ પર પાર્કિંગ પર પાબંદી લાદવામાં આવી છે. જે મુજબ અપોલો સર્કલથી અક્ષરધામના મુખ્ય માર્ગ અને સર્વિસ રોડના 50 મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરી શકાશે નહીં. તેમજ સેન્ટ્રલ વિસ્ટા રોડ મહાત્મા મંદિરથી ટાઉનહોલ અને ઉદ્યોગભવન થઈ અપોલો સર્કલ સુધીના માર્ગો પર પાર્કિંગ સખત મનાઈ છે. ભારે વાહનો પ્રવેશી શકશે નહીંઆવતીકાલે 11 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી 12 જાન્યુઆરી સાંજે 4 વાગ્યા સુધી અપોલો સર્કલ, કોબા સર્કલ અને ચ-0 થી સેક્ટર-30 સુધી ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વૈકલ્પિક માર્ગો તરીકે વાહનચાલકો ચ-રોડ, રોડ નંબર-7, વાવોલ ગામ અને ઉવારસદ માર્ગનો ઉપયોગ કરી શકશે.જોકે રેલવે મુસાફરોને જરૂરી પુરાવા બતાવવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ધ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સને આ પ્રતિબંધોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે 'વિકસિત ભારત જી રામજી' યોજનાને ગરીબ કલ્યાણના ક્ષેત્રે ક્રાંતિકારી સુધારો ગણાવીને તેની મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે ઇતિહાસ વાગોળતા કહ્યું કે, 1980માં શરૂ થયેલી આ યોજનાના નામ અનેક વખત બદલાયા પરંતુ, મૂળ હેતુ જળવાયો નહોતો અને ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ સુધી માત્ર 15 પૈસા જ પહોંચતા હતા, જ્યારે મોદી સરકારે પારદર્શક સિસ્ટમ દ્વારા દરેક રૂપિયો સીધો લાભાર્થીના એકાઉન્ટમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સરકારે હવે આ યોજનાને નવું કૌશલ્ય અને આધુનિક ઓપ આપીને રજૂ કરી છે, જેમાં માત્ર માટીકામ જ નહીં પણ ટેલેન્ટ અને કૌશલ્ય ધરાવતા લોકોને પણ રોજગારીની તક મળશે. જી રામજી યોજનામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી પાટીલે કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકાર્યું હતું કે દિલ્હીથી મોકલેલા 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ લોકો સુધી પહોંચતા હતા, જ્યારે બાકીના 85 પૈસા વચેટીયાઓ ખાઈ જતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પારદર્શક સિસ્ટમને કારણે નાણાં સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. જી રામજી યોજનામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી અને દરેક રૂપિયો સીધો જરૂરિયાતમંદના હાથમાં જાય છે તેવી ખાતરી તેમણે આપી હતી. સરકારી યોજનાનું બજેટ પણ 95,000 કરોડ કરવામાં આવ્યું મંત્રીએ કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, જૂની મનરેગા યોજનામાં 100 દિવસનું કામ અને 15 દિવસે મજૂરી મળતી હતી, જેને હવે જી રામજી યોજના હેઠળ 125 દિવસનું કામ અને માત્ર 7 દિવસમાં ચુકવણીની સુવિધા આપવામાં આવી છે, જ્યારે બજેટ પણ 35,000 કરોડથી વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે. સરકાર અનેક યોજનાઓ પર પાયાનું કામ કરી રહી છેવધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત બનાવવાની કલ્પના કરી છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન કાર્ડ, ઉજ્વલા યોજના, મુદ્રા લોન અને જનધન ખાતા જેવી યોજનાઓ પાયાનું કામ કરી રહી છે. ખાસ કરીને 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ભલે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા હોય, પરંતુ તેમની સ્થિતિ બીમારીમાંથી ઉઠેલા વ્યક્તિ જેવી છે જેમને હજુ સરકારના ટેકા અને પૌષ્ટિક આહારની જરૂર છે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી અંતમાં સી.આર. પાટીલે લોકોને અપીલ કરી હતી કે, આ યોજનાઓનો મહત્તમ લાભ લેવામાં આવે. જેથી, દેશનો દરેક નાગરિક આર્થિક રીતે સશક્ત બને. જી રામજી યોજના માત્ર રોજગારી આપવાનું સાધન નથી પરંતુ, જળ સંચય અને જળ શક્તિના કામો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનું પણ એક માધ્યમ છે. 2047 સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ આ ભવ્ય ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026 માટે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ, પંતગ મ્યુઝિયમ, ફોટો વોલ, ફૂડ સ્ટોલ અને હેન્ડક્રાફ્ટિંગ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. 12થી 14 જાન્યુઆરીએ યોજાશે કાઈટ ફેસ્ટિવલઆ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ધાટન PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, જ્યારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વિશેષ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. 12 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કાઈટ ફેસ્ટિવલમાં માત્ર રંગબેરંગી પતંગો જ નહીં પરંતુ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પણ ઝલક જોવા મળશે. હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ્સ, પતંગ મ્યુઝિયમ અને ફોટો વોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. દેશ-વિદેશના 1,071 પતંગરસિકો પેચ લડાવશેકાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં પતંગબાજો ભાગ લેશે. 50 દેશના 135 ઇન્ટરનેશનલ પતંગબાજો, ભારતના 13 રાજ્યના 65 પતંગબાજ અને ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગબાજ આ કાઈટ ફેસ્ટિવલમાં સહભાગી થશે. આ રીતે કુલ અંદાજે 1,071 પતંગરસિકો આકાશમાં પેચ લડાવશે. નાઈટ ફ્લાઈંગ અને કિંજલ દવે લોકોને ડોલાવશેમહોત્સવના મુખ્ય આકર્ષણોમાં 13 જાન્યુઆરીની રાત્રિ નાઈટ ફાઈટ ફ્લાઈંગ, દરરોજ સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક સંધ્યા અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે લોકોને ડોલાવશે. આ ઉપરાંત 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ દ્વારા સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત વ્યંજનોને પ્રોત્સાહન આપવામાં આવશે.
ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે કે, ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’. જેનો અર્થ એ થાય કે મુખ્ય સ્ત્રોતમાં કઈ હોય તો આગળ પહોંચે. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાએ આ કહેવતને જાણે ઊંધી સાબિત કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ લાગે છે. ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ, જેના બ્યુટીફિકેશન પાછળ સરકારે આશરે 60 કરોડની માતબર રકમનો ખર્ચ કર્યો છે, તેને ભરવા માટે હવે મનપા ‘કૂવા’ના શરણે ગઈ છે. આગામી 16 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે આ તળાવનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, ત્યારે કામગીરી કાગળ પર અને મુખ્યમંત્રીની નજરમાં શુદ્ધ દેખાય તે માટે તંત્ર બોખલાયું છે અને ઉતાવળે કૂવાના પાણીથી તળાવ ભરવાની વિચિત્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ‘કુવામાંથી કેમ તળાવ ભરવામાં આવે છે તે એક સવાલ’આ મામલે જુનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું કે, હાલમાં મુખ્યમંત્રી 16 જાન્યુઆરીએ લોકાર્પણ કરશે તેવી જાહેરાત થઈ છે, ત્યારે જૂનાગઢના શાસકો દ્વારા કૂવામાં મોટર ઉતારીને તળાવ ભરવામાં આવી રહ્યું છે. આ તો એક અદભૂત ટેક્નોલોજી કહેવાય કે, કુવામાંથી તળાવ ભરવામાં આવે! તળાવ ભરવા માટે અહીંયા મોટો પ્લાન્ટ બનાવાયો છે, જેમાં આવતું ગટરનું પાણી શુદ્ધ કરીને તળાવમાં નાખવાનું હતું. આ પ્લાન્ટ આમ તો ચાલુ છે, પરંતુ એમાંથી કેટલું પાણી ફિલ્ટર થાય છે, એ હજી સુધી કોઈને ખબર નથી. તળાવના બ્યુટીફિકેશન, આ ફિલ્ટર પ્લાન્ટ અને ગટરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં પણ ગટરનું પાણી શુદ્ધ થઈને કેમ તળાવમાં નથી જતું એ મોટો પ્રશ્ન છે. ‘મશીનરીનો યોગ્ય ઉપયોગ કરીને તળાવ ભરવું જોઈએ’તળાવનું લાઇન લેવલ વિખાઈ ગયું છે, ગટર આડો પાળો કરવામાં આવ્યો છે, જેથી ગટરનું પાણી તળાવમાં ન આવે. આવડો મોટો પ્લાન્ટ અને કરોડો રૂપિયા જો ખર્ચ્યા હોય તો કુવામાંથી તળાવ ભરવાનો વારો જ ન આવે. આ ખરેખર વિશ્વની પહેલી મહાનગરપાલિકા હશે જે કુવામાંથી તળાવ ભરે છે. એટલે આવી જે કામગીરી છે એ ન થવી જોઈએ. કારણ કે, આ લોકોના ટેક્સના પૈસા છે અને તે બરબાદ થઈ રહ્યા છે. લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાઈ રહી છે અને ઇલેક્ટ્રિક પાવર બાળીને આવડું મોટું બિલ કોના શિરે આવે? એ તો જનતાના ટેક્સના પૈસામાંથી જ થવાનું. એટલે ખરેખર યોગ્ય નીતિથી અને સારી રીતે કામગીરી કરવામાં આવે અને મશીનરીનો યોગ્ય ઉપયોગ કરીને તળાવ ભરવું જોઈએ. તળાવ ભરવા માટે અઢી એમએલડીનો પ્લાટ કાર્યરતઃ અધિકારીઆ સમગ્ર વિવાદ મામલે વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે, અહીં હકીકત એવી છે કે નર્મદા વોકળાને લઈ આજુબાજુના રહીશોની ગટર, પાઈપલાઈ અને પંપીગની વ્યવસ્થા કરેલી તેમાં હજુ બિલ્ડિંગોના કનેક્શનની કામગીરી હજુ બાકી છે. વોકળામાં ગટરનું પાણી અને પ્લાસ્ટીક-કચરો નાખવામાં આવતા ન્યુસન્સ વધતું હતું. આ બાબતની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક કોર્પોરેશન અને પદાધિકારીઓને મળી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને હાલ નર્મદા વોકળામાં ગટરનું પાણી ન ભળે અને તળાવમાં ન ભળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વોકળાની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. ઓલરેડી તળાવ ભરવા માટે રિસાયકલિંગ પ્લાટ અઢી એમએલડીનો પ્લાટ અહીં કાર્યરત છે. પાણીને રિસાયકલિંગ કરીને જ પાણી ભરાવામાં આવે છે. અધિકારીએ નિવેદન બદલતા કહ્યું- એજન્સીએ કરેલી ગોઠવણ સરાહનીયકૂવાના પાણીથી તળાવ ભરવા મામલે પોતાનું અગાઉના નિવેદનના વિરોધા ભાષમાં જણાવ્યું કે, તળાવની એજેન્સીએ પોતાના પાવર અને ખર્ચે બાજુની જગ્યામાં પ્રાઈવેટ કૂવો છે તેમાંથી સમજૂતીથી તળાવ ભરવાનું શરૂ કર્યું છે. એજન્સીએ કરેલી આ ગોઠવણ છે અને તેઓનો આ પ્રયાસ સરાહનીય છે. ગટરનું પાણી તળાવમાં જાય તેના કરતા કૂવાનું શુદ્ધ પાણી જાય તે સારી બાબત છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરમિશન લેવાની જરૂર નથી. સારા કામ પરમિશનની જરૂર નથી. લોકાર્પણની તારીખ નજીક આવતા જ તંત્રની દોડધામ વધીનરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હેઠળ તળાવના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે. આ માટે તળાવની નજીક જ અઢી MLDની ક્ષમતા ધરાવતો આધુનિક રિસાયક્લિંગ વોટર પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે, જેનો હેતુ ગટરના પાણીને શુદ્ધ કરી તળાવમાં ઠાલવવાનો હતો, પરંતુ લોકાર્પણની તારીખ નજીક આવતા જ તંત્રની દોડધામ વધી ગઈ છે. હાલમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે, એજન્સી દ્વારા ગટરના ડાઈવર્ઝનનું કામ ચાલુ છે અને તે દરમિયાન પાણી પોતાની રીતે તળાવમાં નાખવામાં આવતું હોવાની આશંકા છે. આ બધાની વચ્ચે સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે, આટલા વિશાળ તળાવને ભરવા માટે હવે કૂવાના પાણીનો સહારો લેવાઈ રહ્યો છે. એજન્સી ગટરનું ગંદુ પાણી સીધું જ તળાવમાં ઠાલવતી હોવાની શંકાસ્થાનિક સ્તરે કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. એજન્સી દ્વારા હાલમાં ગટરના પાણીના ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન એવી શંકા જન્મી છે કે એજન્સી પોતાની મનમાની કરીને ગટરનું ગંદુ પાણી સીધું જ તળાવમાં ઠાલવી રહી છે. જ્યારે આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમનો જવાબ આશ્ચર્ય પમાડે તેવો હતો. વોટર વર્ક્સ શાખાના ઉચ્ચ અધિકારીએ ખુદ કબૂલાત કરી છે કે એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી દરમિયાન પાણી તળાવમાં જઈ રહ્યું છે. તંત્રની કામગીરી સામે શંકાની સોયઆ મામલે તંત્રની શિથિલતા પણ જોવા મળી રહી છે. એક તરફ પર્યાવરણ અને જળ શુદ્ધિકરણની વાતો કરવામાં આવે છે, બીજી તરફ એજન્સીને ગમે તે રીતે તળાવ ભરવાની છૂટ આપી દેવામાં આવી હોય તેવું જણાય છે. સ્વખર્ચનો જે તર્ક અધિકારી આપી રહ્યા છે, તે સરકારી પ્રોટોકોલ અને કાર્યપદ્ધતિની વિરુદ્ધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શું એજન્સી ગટરનું પાણી ઠાલવીને પોતાની કામગીરી ટૂંકાવી રહી છે? અને શું તંત્રના અધિકારીઓ જાણીજોઈને આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે? હાલ તો આ મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો ખરેખર કૂવાના પાણીના બહાને ગટરનું પાણી તળાવમાં નાખવામાં આવતું હશે, તો તેનાથી ભવિષ્યમાં જળ પ્રદૂષણ અને રોગચાળાનો ખતરો વધી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ તપાસના આદેશ આપે છે કે પછી સ્વખર્ચ ના નામે એજન્સીની આ મનમાની ચાલુ જ રહેશે.
સાંતલપુરના હરશક્તિ પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે છ શખ્સોએ પંપના ફીલર મેન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કર્મચારીને લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના 9 જાન્યુઆરી, 2026ના રોજ બપોરના આશરે 12 વાગ્યે બની હતી. હરશક્તિ પેટ્રોલ પંપ પર ફીલર મેન તરીકે ફરજ બજાવતા પચાણભાઈ શીવાભાઈ રબારીએ સફેદ રંગની ઇક્કો ગાડી (નંબર GJ-05-RK-0434)ના ચાલકને લાઇનમાં ઊભા રહેવા જણાવ્યું હતું. અન્ય વાહનો લાઇનમાં હોવા છતાં ચાલકે પોતાની ગાડી વચ્ચે ઘુસાડી દીધી હતી. આ બાબતે ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. પંપના મેનેજરે દરમિયાનગીરી કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો વધુ બિચકતા મેનેજરે ગેસનું વેચાણ બંધ કરી દીધું હતું. ઉશ્કેરાયેલા ઇક્કો ગાડીના ચાલકે પચાણભાઈને થપ્પડ મારી હતી. ત્યારબાદ ગાડીમાં બેઠેલા અન્ય શખ્સો પણ લાકડીઓ જેવા હથિયારો સાથે નીચે ઉતરી આવ્યા હતા. તેમણે પચાણભાઈ અને અન્ય કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તમે અમને ઓળખતા નથી, જો ગેસ નહીં ભરી આપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓની અટકાયત કરી હતી. પચાણભાઈ રબારીની ફરિયાદના આધારે સાંતલપુર પોલીસે સાંચોરના અમજદખાન આદમખાન જેરડીયા, લિયાકતખાન સુલ્તાનખાન જેરડીયા, સાજિદખાન સુલ્તાનખાન જેરડીયા, શરીફખાન દરિયાખાન જેરડીયા, રણજીતખાન સલીમખાન જેરડીયા અને ધાનેરાના ઇરફાનખાન અયુબખાન સિંધી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.જે. પંચાલ આ કેસની તપાસ કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના પાલિતણા તાલુકાનું હણોલ ગામ આગામી 13 થી 15 જાન્યુઆરી દરમિયાન એક ઐતિહાસિક પળનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગ્રામીણ વિકાસ અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે અહીં 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના દિગ્ગજ નેતાઓ, ખેલજગતના સિતારા અને ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ ગ્રામીણ ભારતને નવી ઊંચાઈ બક્ષશે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ભારત સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમજ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી. ટી. ઉષા, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ મહોત્સવની શોભા વધારશે. આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ છે. તેઓ હણોલ ગામે રાત્રિ રોકાણ કરીને ગ્રામીણ જીવન સાથે એકાત્મતા સાધશે. રાજ્યપાલશ્રી દ્વારા ખેડૂતો માટે 'પ્રાકૃતિક ખેતી' વિષય પર ખાસ પરિસંવાદ યોજાશે. વધુમાં, તેઓ ગ્રામજનો સાથે પ્રભાત ફેરી અને સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ ફેલાવશે. મહોત્સવના અન્ય દિવસોમાં પણ અનેક નામી હસ્તીઓ જોડાશે શ્રીધર વેમ્બુ: 'મેડ ઇન ઇન્ડિયા'ના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક. કપિલ દેવ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન. અરુણ ગોવિલ: રામાયણના 'રામ' તરીકે જાણીતા અભિનેતા અને સાંસદ. આ ત્રણ દિવસ દરમિયાન કૃષિ, ટેકનોલોજી, રોજગાર અને સંસ્કૃતિને વણી લેતા વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો અને લોકાર્પણો યોજાશે. આ મંચ દ્વારા મહિલા સ્વ-સહાય જૂથો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે. આયોજકો દ્વારા આ અનોખા ઉત્સવમાં ભાગ લેવા આસપાસના ગ્રામજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વૈશ્વિક ફલક પર રાજકોટ ચમક્યું:ચાંદી ઉદ્યોગની 'વાઇબ્રન્ટ' ચમક; ઇનોવેશન અને ગુણવત્તામાં દેશમાં પ્રથમ
પ્રાચીન કાળથી સોનું અને ચાંદી ભારતીય સંસ્કૃતિમાં માન-મોભાના પ્રતીક રહ્યા છે. આજે આધુનિક યુગમાં પણ રાજકોટનો ચાંદી ઉદ્યોગ પોતાની અદભૂત કલાત્મકતા અને ઉત્તમ ફિનિશિંગને કારણે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. ઇનોવેટિવ ડિઝાઇન અને વેરાયટી ધરાવતા દાગીના બનાવવામાં રાજકોટ આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જે પ્રત્યેક રાજકોટવાસી માટે ગૌરવની બાબત છે. રાજકોટમાં સોના-ચાંદીનો વ્યવસાય આઝાદી પૂર્વેથી, એટલે કે 100 થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. ખાસ કરીને વર્ષ 1990 બાદ આ ઉદ્યોગે નિકાસ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી છે. પરંપરાગત ઘરેણાં જેવા કે પાયલ, વિંછીયા અને કંદોરાની સાથે હવે અહીં ઇટાલિયન ટેકનોલોજી અને વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસથી આધુનિક આભૂષણો તૈયાર થાય છે. હાલમાં મહિલાઓમાં 'લાઇટ વેઇટ ડેલિકેટ' જ્વેલરીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન (ઊપલાકાંઠા) ના જણાવ્યા અનુસાર, એસોસિએશનમાં આશરે 1200 જેટલા યુનિટ નોંધાયેલા છે. આ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 2 લાખથી 2.50 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારની મહિલાઓને ઘરે બેઠા કામ આપી આર્થિક રીતે સ્વનિર્ભર બનાવે છે. ઉત્પાદન અને વૈશ્વિક નિકાસના આંકડા પર એક નજર કરીએ તો અહીં દરરોજ સરેરાશ 2000 થી 3000 કિલોગ્રામ ચાંદીમાંથી ઘરેણાંનું નિર્માણ થાય છે. રાજકોટની જ્વેલરી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મુંબઈ, દિલ્હી અને દક્ષિણ ભારત સુધી પહોંચે છે. ભારત ઉપરાંત ગલ્ફ કન્ટ્રીઝ, આફ્રિકા અને મેક્સિકો જેવા દેશોમાં પણ રાજકોટની ચાંદીની ભારે માંગ છે. માત્ર રાજકોટમાં જ બનતી 'ખુશ્બુ' પાયલ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. ઉદ્યોગકારોના મતે, 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'ને કારણે અત્યાધુનિક મશીનરીઓ વસાવવી સરળ બની છે, જેનાથી ઉત્પાદન ક્ષમતા વધી છે. ઉપરાંત, GST અમલી બનતા બિલિંગ પ્રક્રિયા પારદર્શક બની છે, જેનાથી માલની હેરફેર સુરક્ષિત થઈ છે અને વેપારમાં રિસ્ક ફેક્ટર ઘટ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આ ઉદ્યોગ આજે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહ્યો છે. રાજકોટના કુશળ કારીગરો, જેઓ પોતાની કલા દ્વારા 'મેક ઇન ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે, તેમની મહેનતને કારણે જ આજે હેર પિનથી લઈને ચાંદીની મોજડી સુધીની તમામ વસ્તુઓ વિશ્વભરના બજારમાં ધૂમ મચાવી રહી છે. આગામી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' આ ઉદ્યોગને વધુ નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવાના ઉમદા હેતુથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - VGRCનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના ભાગરૂપે આગામી 11 જાન્યુઆરી 2826ના રોજ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે 'નારી શક્તિ ઉદ્યોગ સંવાદ: એમ્પાવરિંગ વિમેન, એમ્પાવરિંગ ગુજરાત' વિષય પર એક વિશેષ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા સેમિનારમાં 20 પ્રતિભાશાળી બિઝનેસ વિમેનનું સન્માન કરવામાં આવશે. આ સેમિનારની શરૂઆત 11 મીએ બપોરે 4 કલાકે થશે. જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો અને વિષય નિષ્ણાતો વચ્ચે સીધો સંવાદ યોજાશે. ત્યારબાદ સાંજે 4.30 કલાકે ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS) દ્વારા સ્વાગત પ્રવચન અને ઉદ્યોગ કમિશનરેટના સંયુક્ત સચિવ જયશ્રીબેન દેસાઈ દ્વારા મહિલા સશક્તિકરણ પર પ્રારંભિક સંબોધન કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી 20 જેટલી પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરશે. આ સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ પણ ઉપસ્થિત રહી સરકારની મહિલાલક્ષી નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપશે. સેમિનારના મુખ્ય આકર્ષણ તરીકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને કમાણી ટ્યુબ્સના ચેરપર્સન કલ્પના સરોજ 'એન્ટરપ્રિન્યોરશિપ અગેન્સ્ટ ઓલ ઓડ્સ' વિષય પર પોતાની પ્રેરણાદાયી સંઘર્ષગાથા રજૂ કરશે. આ ઉપરાંત ઈન્વેસ્ટ ઈન્ડિયાના CEO નિવૃતિ રાય વૈશ્વિક રોકાણ અને ટેકનોલોજીના બદલાતા પ્રવાહો વિશે, જ્યારે GRIT ના CEO એસ. અપર્ણા (IAS) વહીવટી કુશળતા અને વ્યૂહાત્મક ભૂમિકા અંગે સંબોધન કરશે. સામાજિક ઉદ્યોગ સાહસિક પાબીબેન રબારી અને સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી પરંપરાગત કળા અને સંસ્કૃતિના માધ્યમથી મહિલા ઉત્થાનના તેમના અનુભવો વહેંચશે. આ સાથે જ એક્સિલરેટ ઈન્ડિયાના ડો. નેહા શર્મા ભારતને વૈશ્વિક ટેક હબ બનાવવાના વિઝન પર પ્રકાશ પાડશે. આ કોન્ફરન્સ માત્ર મહિલા સશક્તિકરણ પૂરતી સીમિત ન રહેતા પ્રાદેશિક સ્તરે ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ સમાંતર સેમિનારોનું પણ સાક્ષી બનશે. જેમાં MSME ક્ષેત્રને મજબૂત કરવા, એગ્રો-પ્રોસેસિંગ યુનિટ્સની સ્થાપના અને રાજકોટના એન્જિનિયરિંગ હબને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટેના ટેકનિકલ સત્રો યોજાશે. આ સેમિનારોમાં સ્થાનિક ઉદ્યોગપતિઓને રાજ્ય સરકારની નવી પ્રોત્સાહક નીતિઓ, સબસિડી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે. જેથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક નકશા પર નવા રોકાણો આકર્ષી શકાય. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં 'બ્રેકિંગ બેરિયર્સ' વિષય પર એક વિશેષ પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં રાજયશ ગ્રુપના નિલજા પટેલ, જેન્ડર એન્ડ ક્લાઈમેટ એક્સપર્ટ તૃપ્તિ જૈન, રાસ્પિયન એન્ટરપ્રાઈઝના પ્રીતિ પટેલ, અન્નપૂર્ણા ઈન્ડસ્ટ્રીઝના શીતલ અગ્રવાલ દેસાઈ અને સીએ સોનલ જૈન, હેતલબા ઝાલા, TiE ગ્લોબલ હેડ પ્રિયાલી ચટ્ટોપાધ્યાય, કંપની સેક્રેટરી સુશીલા મહેશ્વરી સહિતના નિષ્ણાતો સંરક્ષણ, લોજિસ્ટિક્સ, અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી પર ચર્ચા કરશે. આ વક્તાઓ મહિલાઓને સ્ટાર્ટઅપ, હસ્તકલા અને કોર્પોરેટ ક્ષેત્રમાં આવતી તકો વિશે માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં ઈન્વેસ્ટ ઈન્ડિયાના સીઈઓ નિવૃતિ રાય અને GRITના સીઈઓ એસ. અપર્ણા (IAS) દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે. આ સેમિનાર ગુજરાતની નારી શક્તિને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા અને નવા વ્યવસાયિક આયામો સર કરવા માટે એક સીમાચિહ્ન રૂપ પ્લેટફોર્મ પૂરું પાડશે.
વડોદરા જિલ્લા અને શહેરમાં કાર્યરત તમામ સરકારી અને ખાનગી એકમો માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, તરસાલી દ્વારા એક મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી (CNV) એક્ટ-1959 અંતર્ગત, તમામ સંસ્થાઓએ તારીખ 31-12-2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને છ-માસિક રોજગારલક્ષી રીટર્ન તારીખ 31-01-2026 સુધીમાં જમા કરાવવાના રહેશે. આ સૂચના મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમો, બેંકો તેમજ ખાનગી ક્ષેત્રના ઉત્પાદન, સેવા અને વેપાર સાથે સંકળાયેલા એકમો જેવા કે કારખાના, શાળાઓ, હોસ્પિટલો, હોટેલ્સ, આઉટસોર્સિંગ એજન્સીઓ અને NGO માટે આ પ્રક્રિયા ફરજિયાત છે. ઉત્પાદનલક્ષી એકમોએ ખાસ કરીને 85% સ્થાનિક ઉમેદવારોની ભરતી અંગેનું છ-માસિક પત્રક પણ રજૂ કરવાનું રહેશે. સંસ્થાઓ આ વિગતો ઓનલાઈન પોર્ટલ, ઈમેલ, ટપાલ અથવા રૂબરૂમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ITI કેમ્પસ, તરસાલી ખાતે મોકલી શકે છે. આ ઉપરાંત, જો કોઈ એકમે રોજગાર કચેરી સિવાય અન્ય માધ્યમથી ભરતી કરી હોય, તો તેની જાણકારી પણ આપવી આવશ્યક છે. જે એકમોને લાયક ઉમેદવારો શોધવામાં મુશ્કેલી પડતી હોય, તેમને ગુજરાત સરકારના Anubandham પોર્ટલ અથવા ભારત સરકારના NCS પોર્ટલ પર 'જોબ પ્રોવાઈડર' તરીકે નોંધણી કરવા અનુરોધ કરાયો છે. રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા અને એપ્રેન્ટિસ મેળાનો લાભ પણ વિનામૂલ્યે લઈ શકાશે. નિયત સમયમર્યાદામાં રીટર્ન ભરી વહીવટી પ્રક્રિયામાં સહકાર આપવા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત તેમના સંસદીય મતવિસ્તારના 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જાણ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદ કરાયેલા ગામોમાં આયોજનબદ્ધ વિકાસ, સંકલન અને વિવિધ સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવાનો છે. પસંદ કરાયેલા ગામોમાં ખેરાલુ વિધાનસભાના મલેકપુર (ખે.) અને સરણા, કાંકરેજ વિધાનસભાનું ટોટાણા, ચાણસ્મા વિધાનસભાનું ભાટસર, પાટણ વિધાનસભાનું નોરતા, રાધનપુર વિધાનસભાનું જજામ, સિદ્ધપુર વિધાનસભાનું નિણ્ઢોડા અને વડગામ વિધાનસભાના સીસરાણા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, આરોગ્ય સુવિધા, શિક્ષણ તેમજ સામાજિક અને આર્થિક વિકાસના કાર્યોને અગ્રતા આપવામાં આવશે. સાંસદે સંબંધિત વિભાગોને આ ગામોમાં વિકાસના કામો અસરકારક રીતે હાથ ધરવા અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી છે. યોજના હેઠળ ગામોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણને પણ નકલ રવાના કરવામાં આવી છે જેથી કામગીરીનું સીધું નિરીક્ષણ થઈ શકે.
વલસાડ જિલ્લા સહિત રાજ્યભરમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરી સામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદારોને વર્ષ 2002ના તેમના પરિવારના સભ્યોના મતદાર યાદીમાં નામ સહિતના પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી રહી છે. આ નોટિસ 2026ની મતદાર યાદીની તૈયારીના ભાગરૂપે આપવામાં આવી છે. પારડી ખાતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, નોટિસ આપનાર અધિકારીઓએ ભારતનું બંધારણ વાંચ્યું છે કે નહીં? ભારતમાં જન્મેલા કોઈપણ વ્યક્તિ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને નાગરિકત્વનો દરજ્જો મળવો જ જોઈએ, તે બંધારણીય હક છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ 18 વર્ષની થાય અને પોતાનો જન્મનો પુરાવો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) રજૂ કરે, ત્યારે તે આપોઆપ ભારતનો મતદાર બની જાય છે. આ અધિકાર ભારતના બંધારણે આપ્યો છે. અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્ર દ્વારા 2002ના સમયના માતા-પિતા કે દાદા-દાદીના પુરાવાઓ માંગવામાં આવી રહ્યા છે, જે બંધારણીય રીતે અયોગ્ય છે. તેમણે કહ્યું કે, આવી નોટિસ ભારતના બંધારણને બદલવા સમાન છે અને તે તદ્દન પાયાવિહોણી છે. આ મામલે અનંત પટેલે પ્રાંત અધિકારી, કલેક્ટર અને ચૂંટણી પંચને પણ રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોના બંધારણીય અધિકારોનું હનન કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં.
વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડુંગરી પોલીસ અને SOG વલસાડની ટીમે અલગ-અલગ દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ તાલુકાના ગોરગામ ગામના અરવાડા મંદિર ફળીયા વિસ્તારમાં ડુંગરી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સંગીતાબેન પ્રવિણભાઈ બાબુભાઈ પટેલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘરના હોલમાં પેટી પલંગના ગાદલા નીચે છુપાવેલો 61.9 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3,095/- થાય છે. પોલીસે સંગીતાબેનને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજો સુરતમાં રહેતા કાલુ નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યો હતો, જે હાલ ફરાર છે. બીજી તરફ, વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SOGની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મચ્છી માર્કેટ પાછળ આવેલા સમર્થ પાર્ક બિલ્ડીંગના ફ્લેટમાંથી બે આરોપી સંતોષ પ્રકાશ કનોજીયા અને દિપેન મનોજ પરીહારને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી 30.48 લાખ રૂપિયાની કિંમતના 0.871 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રોકડા રૂ. 1.35 લાખ, એક મોપેડ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 34.03 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. બંને કેસોમાં આરોપીઓ સામે NDPS એક્ટ, ૧૯૮૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ બનાવી છે.
ભારતીય સંસ્કૃતિના અતૂટ શ્રદ્ધા કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા, દેશભરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ભાગરૂપે, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વડોદરા દ્વારા એક વિશેષ આધ્યાત્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને સંસ્થાના પ્રમુખ ડૉ. વિજય શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાની સાથે રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનો છે. ઇતિહાસમાં સોમનાથ મંદિર પર અનેક હુમલાઓ થયા, પરંતુ અનેક શૂરવીરો અને ભક્તોના બલિદાનના પરિણામે આજે આ મંદિર ભારતના અજેય સ્વાભિમાનનું પ્રતીક બનીને ઊભું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાઈ રહેલા આ પર્વ અંતર્ગત, વડોદરાનો વણિક પરિવાર ડૉ. વિજય શાહના નેતૃત્વમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રીય ચેતનાને સમાજમાં વધુ દ્રઢ બનાવવાનો એક સરાહનીય પ્રયાસ છે. આ આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના સંઘર્ષ અને ભવ્ય વિજયની ગાથાથી માહિતગાર કરવામાં આવશે.
મોરબીમાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઇ. કોલેજ) દ્વારા 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી. લેંકો એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી અર્જુન મોઢવાડિયા સહિત અંદાજે 2500 પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ટેકનિકલ અને ઇજનેરી શિક્ષણ પૂરું પાડવાના હેતુથી મોરબીના રાજા લખધીરસિંહજી જાડેજાએ વર્ષો પહેલા પોતાનો રાજમહેલ એલ.ઇ. કોલેજ બનાવવા માટે અર્પણ કર્યો હતો. છેલ્લા 75 વર્ષમાં આ કોલેજે હજારો ઇજનેરો સમાજને આપ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ વિદ્યાર્થીઓએ તેમના કોલેજકાળના દિવસો અને સંઘર્ષમય સમયને યાદ કર્યા હતા. તેમણે ગુજરાત અને દેશના વિકાસમાં ઇજનેરોના યોગદાન અંગે પણ ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન 15મા ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજની રજત જયંતી નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન શહેરની પ્રતિષ્ઠિત સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે એક 'રાષ્ટ્રીય હોમિયોપેથિક સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના અવસરે દેશભરમાંથી હોમિયોપેથી ક્ષેત્રના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા, આ અંગે ડો.સુભાસ સિંહની ઉપસ્થિતિઆ સેમિનારના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય હોમિયોપેથિક સંસ્થાન, કોલકાતાના પૂર્વ ડાયરેક્ટર અને સમગ્ર ભારતમાં 'Teachers of the Teachers' તરીકે જાણીતા એવા ડો.સુભાસ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સેમિનારમાં હાજર રહેલા સંશોધનકારો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને હોમિયોપેથીના ગહન સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું, આ કાર્યક્રમનો મુખ્ય વિષય 'ઓર્ગેનન ઓફ ફિલોસોફી' રાખવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને હોમિયોપેથીના ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે બનાવવી તેનું સચોટ શિક્ષણ આપવું., હોમિયોપેથિક વિજ્ઞાન દ્વારા અસાધ્ય રોગોમાં કેવી રીતે ચમત્કારિક પરિણામો લાવી શકાય અને દર્દીઓને સાજા કરી શકાય તેનું જ્ઞાન આપવું, 25 વર્ષની સંસ્થાની સફળ સફરને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાડવો, 25 વર્ષની મંજિલ પૂર્ણ થયા બાદ આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના સેમિનારથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું એક્સપોઝર મળે છે આ સેમિનાર આગામી પેઢીના હોમિયોપેથિક તબીબો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે, નેશનલ હોમિયોપેથી કમિશનના મેમ્બર આનંદ કુમાર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં ઉપસ્થિત છીએ અને મારી તરફથી તમામ ઓર્ગેનાઈઝર્સ, વિદ્યાર્થીઓ અને દરેકને અભિનંદન કે તેમણે પોતાના 25 વર્ષ પૂરા કર્યા, આ દરમિયાન જે રીતે તેમણે સંઘર્ષ દ્વારા હોમિયોપેથીને આગળ વધારી છે, તે પ્રયાસ સરાહનીય છે, અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દી આ પોસ્ટ ગ્રેજ્યુએટ હોમિયોપેથિક કોલેજ બને. હોમિયોપેથીમાં આ કોલેજની ખૂબ જ સારી પ્રતિષ્ઠા છે અને ખાસ કરીને ગુજરાતમાં હોમિયોપેથી અત્યારે ઘણી આગળ વધી રહી છે, ઇન્ડોર અને આઉટડોર એમ બંનેમાં દર્દીઓ જોવામાં આવી રહ્યા છે, નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના પૂર્વ ચેરમેન ડો.પિનાકિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે જે સેમિનાર છે એ એક્યુટ ડિસીઝનું હોમિયોપેથીથી કઈ રીતે મેનેજમેન્ટ થઈ શકે એ વિષયની ચર્ચા છે,હોમિયોપેથી એ વિશિષ્ટ પ્રકારની ટ્રીટમેન્ટ પદ્ધતિ છે કે જેમાં એક્યુટ, ક્રોનિક, સબ-એક્યુટ દરેક પ્રકારની સાયકોસોમેટિક કન્ડિશન, દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને આજકાલ જ્યારે માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ થઈ રહ્યા છે એવા સંજોગોમાં હોમિયોપેથી એ પ્રાથમિક અને પ્રિવેન્ટિવ તબીબી પદ્ધતિ તરીકે ખૂબ જ આગળ વધવાની છે આવતું ભવિષ્ય મેડિકલ ક્ષેત્રમાં હોમિયોપેથીનું છે એવું બિલકુલ જણાઈ રહ્યું છે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજના ડો.ગીરીશભાઈ વાઘાણી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડો.ચિન્મય શાહ, ડો.કાનાણી, યુનિવર્સિટીના સભ્યો તેમ જ ભારતભરની વિવિધ કોલેજના અગ્રણીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
'રેર અર્થ'ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ
Rare Earth Minerals: વોશિંગ્ટનમાં મળનારી G7 નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકાએ ભારત અને ઓસ્ટ્રેલિયાને વિશેષ નિમંત્રણ પાઠવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ વ્યૂહાત્મક પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની નિર્ભરતા ઘટાડીને સ્માર્ટફોન અને ફાઈટર જેટ જેવા સંરક્ષણ સાધનોમાં વપરાતા 'રેર અર્થ' ખનીજોના પુરવઠાને સુરક્ષિત કરવાનો છે. સપ્લાય ચેઈન સુરક્ષિત કરવાનો મુખ્ય એજન્ડા અમેરિકન નાણામંત્રી(ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેમેન્ટે પુષ્ટિ કરી છે કે સોમવારે યોજાનારી આ બેઠકનો મુખ્ય હેતુ દુનિયાભરમાં મહત્ત્વના ખનીજોની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો છે. અત્યાર સુધી પશ્ચિમી દેશો આ ખનીજો માટે ચીન પર નિર્ભર રહ્યા છે, પરંતુ હવે તેઓ આ નિર્ભરતા ખતમ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસપાત્ર દેશો સાથે મજબૂત ભાગીદારી કરવા માંગે છે.
ઓઇલ કંપનીઓએ ટ્રમ્પના ઇરાદાઓ પર પાણી ફેરવ્યું! કહ્યું-વેનેઝુએલા રોકાણ લાયક જગ્યા નથી
US Companies On Venezuela Oil Industry: ટ્રમ્પ સરકારે વેનેઝુએલાના સૌથી મૂલ્યવાન સંસાધન ઓઇલ ઉદ્યોગ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી હતી. અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, અમેરિકા હવે વેનેઝુએલાના ઓઇલના ભવિષ્યના તમામ વેચાણને નિયંત્રિત કરશે અને તેમાંથી થતી આવકનો હિસાબ પણ અમેરિકા જ રાખશે. આ યોજના એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ સરકાર અમેરિકાની ઊર્જા કંપનીઓને વેનેઝુએલાના નષ્ટ થઈ રહેલા ઓઇલના માળખાને પુનઃજીવત કરવા અને તેના ઘટતા ઉત્પાદનને પુનર્જીવિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જોકે, હવે ઓઇલ કંપનીઓએ ટ્રમ્પના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. વેનેઝુએલા રોકાણ લાયક જગ્યા નથી
NDPS ગુનાનો ફરાર આરોપી ઝડપાયો:પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી પકડ્યો, ખેરોજ પોલીસને સોંપાયો
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી NDPS ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પરેશકુમાર અને દીપકભાઈને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ખેરોજ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતા ફરતા આરોપી અજીતભાઈ પોપટભાઈ ગમાર (ઉ.વ. 38, રહે. સેબલિયા (વડીખાણ ફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠા)ને દેલવાડા બજારમાં રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના દૂધારામપુરા ગામમાં લાંબા સમયથી દારૂના દૂષણને કારણે ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગામની મુલાકાતે આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સમક્ષ ગ્રામજનોએ દારૂબંધીના કડક અમલ માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં દેશી અને વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, જેના કારણે ગામનું સામાજિક માળખું ખોરવાઈ રહ્યું છે. ગામના વક્તાઓએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દારૂના આ દૂષણને કારણે ગામની અનેક નાની ઉંમરની બહેનો વિધવા બની છે અને ઘણા યુવાનો અકાળે મૃત્યુ પામ્યા છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાથી ગ્રામજનોએ ધારાસભ્યને આ બાબતે મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. ગ્રામજનો વતી એવી માંગ કરવામાં આવી હતી કે દૂધારામપુરા ગામમાંથી દેશી અને વિદેશી દારૂના તમામ અડ્ડાઓ કાયમી ધોરણે સજ્જડ બંધ કરાવવામાં આવે. આ પગલાં દ્વારા ગામના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય અને ગામમાં શાંતિ સ્થાપી શકાય. વધુમાં, ગ્રામજનોએ ધારાસભ્યને જણાવ્યું હતું કે ગામના વિકાસ અને શાંતિ માટે દારૂનું આ દૂષણ દૂર કરવું અત્યંત જરૂરી છે. વર્ષોની આ સમસ્યાનો અંત લાવવા માટે પોલીસ પ્રશાસન અને જવાબદાર તંત્રો પાસે કડક કાર્યવાહી કરાવવાની ખાતરી ગ્રામજનોએ માંગી હતી. ધારાસભ્યની આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને સૌએ એકસૂરે ગામને વ્યસનમુક્ત બનાવવાની માંગણી દોહરાવી હતી.
કોંગ્રેસનું 'મનરેગા બચાવો આંદોલન' રાજ્યભરમાં વિસ્તરશે:ભાજપ સરકાર પર યોજના નબળી પાડવાનો આરોપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાને નબળી પાડવાના પ્રયાસો સામે રાજ્યભરમાં 'મનરેગા બચાવો આંદોલન' શરૂ કરવાની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર બજેટમાં કાપ મૂકીને, ચૂકવણીમાં વિલંબ કરીને અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પૂરતા ભંડોળના અભાવે અનેક રાજ્યોમાં મજૂરોને સમયસર વેતન મળતું નથી, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને 100 દિવસના કામનો અધિકાર માત્ર કાગળ પર રહી ગયો છે. આ આંદોલન પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે. પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મનરેગા એ કોઈ દાન નથી, પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસી સમુદાય માટેનો કાનૂની અધિકાર છે. ભરૂચ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે 'મનરેગા બચાવો આંદોલન' માત્ર ગુજરાત પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દિલ્હી સહિત સમગ્ર દેશમાં જમીનસ્તર પર ચલાવવામાં આવશે.
પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દિવ્યાંગ અને બ્લડ કેન્સરના દર્દીઓની મદદ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) પ્રશાંત શુંબે, ડીવાયએસપી ડો. જીગ્નેશ ગામીત, પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ પટણીજી, ગોપાલ સેના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ડો. વિશાલ ગઢવી, કનુભાઈ અગ્રવાલ, ડો. ભૌમિક વાર્ડે, ડો. વિવેક ચૌધરી અને જયેશદાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ગોપાલ સેના અને પાલનપુરના પત્રકાર મિત્રોની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિત લોકોને મદદરૂપ થવાનો હતો. આ સાથે, ભારતના વડાપ્રધાનના 'ફિટ ઇન્ડિયા' સ્લોગનને પણ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો 47 વર્ષ જૂનો જર્જરિત પુલ મકરસંક્રાંતિના તહેવાર બાદ તોડી પાડવામાં આવશે. આ પુલના સ્થાને ₹19.48 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવો પુલ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા ડિમોલેશન પહેલાં વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન તૈયાર કરી લેવાયું છે. કાલાવડ નાકા બહાર અમન-ચમન, રંગમતી, તારમામદ, મકવાણા, નેશનલ પાર્ક, ગેલેક્સી, સિલ્વર-ગ્રીન, રબ્બાની પાર્ક, કલ્યાણ ચોક અને મોરકંડા રોડ જેવા વિસ્તારોમાં હજારો લોકો વસવાટ કરે છે. શહેર સાથે તેમને જોડતો આ એકમાત્ર મહત્વનો પુલ હતો. આ જર્જરિત પુલ અંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. મોરબીના ઝૂલતા પુલ અને ગંભીરા પુલની દુર્ઘટનાઓ બાદ આ પુલ બદલવાની માંગણી વધુ પ્રબળ બની હતી. ત્યારબાદ ₹19.48 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવો પુલ બનાવવાનો નિર્ણય લેવાયો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ ફાળવી દેવાયો છે. પુલ તોડવાની કામગીરી શરૂ થાય તે પહેલાં મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં ડાયવર્ઝન તૈયાર કરાયું છે. કાલાવડ તરફથી આવતા વાહનવ્યવહાર માટે ડાબી બાજુએ અને શહેરમાંથી આવતા વાહનવ્યવહાર માટે જમણી બાજુએ ગુજરાતી સિપાઈ જમાતખાના અને ધનસેરિયા હનુમાન મંદિર પાસેથી રસ્તો કાઢીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. તેના પર કપચી પાથરીને સલામત માર્ગ બનાવ્યા બાદ મકરસંક્રાંતિ પછી પુલ તોડવાનું કામ શરૂ થશે. જામનગર મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી ચોમાસામાં નદીમાં પાણી આવે તે પહેલાં નવા પુલનો અમુક સુરક્ષિત હિસ્સો તૈયાર કરીને ટુ-વ્હીલર્સ સરળતાથી પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવાનું તંત્રનું લક્ષ્ય છે. આનાથી કાલાવડ નાકા બહારની સોસાયટીઓના હજારો રહીશોને દૈનિક ટ્રાફિક જામ અને જોખમી પુલની સમસ્યામાંથી મુક્તિ મળશે.
પંચમહાલ LCB એક્સપ્રેસવે પરથી દારૂ ઝડપ્યો:₹8.07 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત, ચાલક ફરાર
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચેથી ₹8,07,336/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 1788 નંગ દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન સાથે એક સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે કરી છે. પોલીસને બાતમી મળી હતી કે GJ-18 BL 7855 નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને લીમખેડા તરફથી નવા બની રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થઈ ગોધરા તરફ આવવાનો છે. જે બાદ પોલીસે કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચે નાકાબંધી ગોઠવી હતી. પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલકે બ્રિજ નજીક કાર ઊભી રાખી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારની તપાસ કરતા તેમાંથી કુલ ₹5,07,336/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કીના 1000 ક્વાર્ટરિયા (કિ.રૂ. 2,23,000), રોયલ સ્ટેગ સુપિરિયર વ્હિસ્કીના 480 ક્વાર્ટરિયા (કિ.રૂ. 1,97,760), કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયરના 119 ટીન (કિ.રૂ. 46,886) અને બડવાઇઝર મેગ્નમ બિયરના 189 ટીન (કિ.રૂ. 39,690)નો સમાવેશ થાય છે. દારૂ ઉપરાંત, પોલીસે ₹3,00,000/-ની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર GJ-18 BL 7855) અને GJ-16 CH 8839 નંબરની બે પ્લેટો પણ કબજે કરી છે. આમ, કુલ ₹8,07,336/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પછીના પ્રથમ શનિ-રવિવાર એટલે કે આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ ‘ઉતરાર્ધ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ધરોહરને જીવંત રાખતા આ મહોત્સવમાં વિશ્વ વિખ્યાત દેશ-વિદેશના નામાંકિત અને લબ્ધપ્રતિષ્ઠ કલાકારો પોતાની કલાના કામણ પાથરશે. દરરોજ સાંજે 7 વાગ્યાથી સાંસ્કૃતિક ઉત્સવઆ દ્વિ-દિવસીય સાંસ્કૃતિક ઉત્સવનો પ્રારંભ દરરોજ સાંજે 7 વાગ્યાથી થશે. ઐતિહાસિક સૂર્યમંદિરના મનમોહક બેકગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ સહિતની વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિના દર્શન કરવાનો અનેરો અવસરરાજ્યના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવમાં કલાપ્રેમીઓ માટે ભારતીય સંસ્કૃતિના દર્શન કરવાનો અનેરો અવસર સાંપડશે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે કલા જગતના અગ્રણીઓ અને પર્યટકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘ઉતરાર્ધ મહોત્સવ’ની પરંપરા વર્ષોથી ઉતરાર્ધ મહોત્સવની પરંપરા ઉત્તરાયણ પછી સૂર્યની ઉત્તર તરફની ગતિ દરમિયાન ઉજવવામાં આવે છે. આ સમયે શિયાળો અંત તરફ હોય છે અને દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે. મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણને દર્શાવે છે. વિવિધ કલાક્ષેત્રના કલાકારો પોતાની કલા રજૂ કરશે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાનો પરિચય લોકો સુધી પહોંચાડવાનો છે. દેશભરના વિવિધ કલાક્ષેત્રના કલાકારો આ બે દિવસીય કાર્યક્રમમાં પોતાની કલા રજૂ કરશે.
મહેસાણા એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં આવેલ BND એનર્જી ફિટનેસ સેન્ટરના એક ડેટા એન્ટ્રી ઓપરેટરને લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટના કામ પેટે 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. લોડિંગ રિક્ષાના રી-પાસિંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવવા અરજી કરી હતીએક જાગૃત નાગરિકે પોતાની લોડિંગ રિક્ષાનું રી-પાર્સિંગ કરાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. આ કામગીરી માટે તેઓ BND એનર્જી ફિટનેસ સેન્ટર ખાતે ફરજ બજાવતા ડેટા એન્ટ્રી ઓપરેટર અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલને મળ્યા હતા. અમિતકુમારે આ કામ કરી આપવા માટે કાયદેસરની ફી ઉપરાંત વધારાના 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવી ડેટા એન્ટ્રી ઓપરેન્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યોફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે ગત રોજ એટલે કે 9 જાન્યુઆરી 2026ના રોજ છટકું ગોઠવ્યું હતું. મહેસાણામાં સેન્ધણી પાર્લર પાસે જ્યારે આરોપી અમિતકુમાર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 500 રૂપિયા સ્વીકાર્યા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.
હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર ઇન્ડોર સ્ટેડિયમમાં બહેરા-મૂંગા વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સ્પર્ધાનું આયોજન ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ યજમાન તરીકે સેવા આપી રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેષભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા, સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ દીપકભાઈ શાહ, મંત્રી વીરભદ્રસિંહ રાઠોડ, ટ્રસ્ટી કેતનભાઈ શાહ, આયોજનમાં સહયોગી કેવલભાઈ શાહ, રેફરી કે.સી. વાઘેલા, વ્યાયામ શિક્ષકો નટુભાઈ સદાત અને જીગ્નેશભાઈ, તેમજ કન્વીનર નિકુંજભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં રાજ્યના 14 જિલ્લામાંથી કુલ 275 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 185 ભાઈઓ અને 90 બહેનોનો સમાવેશ થાય છે. સાબરકાંઠા દિવ્યાંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઋત્વિકભાઈ સિંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વોલીબોલ સ્પર્ધામાં ત્રણ મુખ્ય કેટેગરી છે. જેમાં 18 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો, 18 વર્ષથી ઉપરના ભાઈઓની 9 અને બહેનોની 4 ટીમો, તેમજ 16 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો મળીને કુલ 29 ટીમો ભાગ લઈ રહી છે. આજે દિવસ દરમિયાન લીગ મેચો રમાશે, જ્યારે આવતીકાલે નોકઆઉટ અને ફાઇનલ મેચો યોજાશે. આ સ્પર્ધામાં વિજેતા બનનારી ત્રણેય કેટેગરીની ટીમો જૂન 2026માં બેંગલોર ખાતે યોજાનારી નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે 25 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. ઓર્ડર કર્યો વેજ મખ્ખનવાલાનો અને પીરસી દેવાયું મુર્ગ મખ્ખનવાલાઅમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા સામજિક કાર્યકર ગૌરાંગ રાવલે એડવોકેટ કુંતલ જોશી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં શેલા ખાતે આવેલ ક્લબ ઓ સેવનની ક્યૂબ લોન્જ સામે 30 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. ક્યૂબ લોન્જ રેસ્ટોરન્ટ વ્યાંધમ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવે છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પોતાના બહેન અને બનેવી સાથે 7 માર્ચના રોજ ઉપરોક્ત રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યાં તેમને વેઇટરને 1 વેજ મખ્ખનવાલા, 3 બટર રોટી, 1 દાલફ્રાય, 2 ફ્રાય પાપડ અને 2 છાશનો ઓર્ડર કર્યો હતો. 15 મિનિટ બાદ વેઇટરે ઓર્ડર સર્વ કર્યો હતો. પરંતુ તેમાં વેજ મખ્ખનવાલાનું શાક દેખીતી રીતે હોવું જોઈએ તેવું લાગતું નહોતું. આથી ગ્રાહકે વેઇટરને અને શૅફને પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ શાક વેજ મખ્ખનવાલા જ છે. આથી ગ્રાહકે પોતાના બહેન અને બનેવી સાથે ખાવાનું શરૂ કરતાં તેને કાઈ અજુગતું લાગ્યું હતું. તેને એવો અંદેશો આવી ગયો હતો કે આ માંસાહારી ખોરાક છે. તેને વેઇટર અને શૅફને આ અંગે પૂછતાં તેઓ તે વાત માનવા તૈયાર નહોતા. જો કે પાછળથી એક શેફે સ્વીકાર્યું હતું કે આ વેજ મખ્ખનવાલા નહિ પણ મુર્ગ મખ્ખનવાલા છે, એટલે કે ચિકનની માંસાહારી વસ્તુ છે. ગ્રાહક અને તેના બહેન બનેવી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. તેમજ ચુસ્ત શાકાહારી છે. તેમને જીવનમાં કદી માંસાહાર કર્યો નથી. ગ્રાહકની ફરિયાદ બાદ પણ વેઈટર ભૂલ સ્વીકારવા તૈયાર નહોતોહકીકત ખબર પડતાં અરજદારની બહેનને આઘાત લાગ્યો હતો અને તે રડવા લાગી હતી. વેઇટર પણ ભૂલ સ્વીકારવા તૈયાર નહોતો અને કહ્યું હતું કે ગ્રાહકે માંસાહારી ડીશ માંગી હતી. જ્યારે ગ્રાહકે લખાવેલ ઓર્ડર ચિઠ્ઠી જોઈ ત્યારે ખબર પડી કે વેઇટર ખોટો હતો. આખરે વેઇટરે લેખિતમાં માફી માંગી હતી. જેનો ગ્રાહકે અસ્વીકાર કર્યો હતો. આ સંદર્ભે રેસ્ટોરન્ટ મેનેજ કરતા વ્યાંધમના વાઇસ પ્રેસિડન્ટને રજૂઆત કરતા તેમને મેનેજર સાથે વાત કરવા જણાવ્યું હતું. મેનેજરને રજૂઆત કરતા તેમને ગ્રાહકની તકલીફ સમજવાની જગ્યાએ મફતમાં લંચ ઓફર કર્યું હતું. જેથી ગ્રાહકને આશ્ચર્ય અને આઘાત લાગ્યો હતો. તેઓ પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં બહાર નીકળી ગયા હતા. ગ્રાહકનું ઘર શેલાથી નજીક હોવાથી અને આ રેસ્ટોરન્ટમાં અગાઉ પણ આવી ચૂક્યા હોવાથી અહીં બહારથી આવેલા પોતાના બહેન બનેવી ફોર્સ કરીને સાથે ભોજન કરવા લાવ્યો હતો. જો કે આ ઘટના બાદ તેઓ ઘરે પહોંચતા ગ્રાહકની બહેનની તબિયત બગડી હતી અને ઊલ્ટી કરી હતી. બહેને ભાઈને ઠપકો આપીને તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનું વળતર ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશઆ ઘટના અંગે 30 લાખ રૂપિયાનું વળતર મેળવવા અને જાહેરમાં માફી માંગવા ગ્રાહકે રેસ્ટોરન્ટને લીગલ નોટિસ મોકલી હતી. જેમાં જણાવાયું હતું કે 15 દિવસમાં જો તે આ નોટીસ સંદર્ભે કાર્યવાહી નહિ કરે તો ગ્રાહક રેસ્ટોરન્ટ સામે કેસ કરશે. તેમજ AMC, FSSAI અને હેલ્થ વિભાગમાં પણ ફરિયાદ કરશે. આ સાથે ગ્રાહકે 25 હજારનો નોટિસ મોકલવાનો લીગલ ખર્ચ પણ માંગ્યો હતો. જો કે 20 દિવસ ઉપરનો સમય વિતી ગયો હોવા છત્તા રેસ્ટોરન્ટ તરફથી કોઈ જવાબ ના મળતા ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેસ્ટોરન્ટ સામે 30 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. જેમાં 10 લાખ રૂપિયા માનસિક પીડાના, 10 લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને 10 લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો 50 હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો. સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જોઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. શુદ્ધ શાકાહારી વ્યક્તિએ ફક્ત શાકાહારી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પસંદ કરવું જોઈએ. જો કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને 20 હજાર રૂપિયા વળતર અને 05 હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.
એઆરટીઓ બોટાદે રિક્ષા ચાલકો માટે કાર્યક્રમ યોજ્યો:સાળંગપુર મંદિર પરિસર પાસે માર્ગ સલામતી જાગૃતિ અપાઈ
માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી એઆરટીઓ બોટાદ દ્વારા સાળંગપુર મંદિર પરિસરમાં એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, રિક્ષા ચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા, સલામત ડ્રાઈવિંગ પદ્ધતિઓ અપનાવવા અને માર્ગ પર સંયમિત તથા જવાબદાર વર્તન રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને, તેમને ઓવરલોડિંગ ટાળવા, વાહનની યોગ્ય ઝડપ જાળવવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા તેમજ મુસાફરોની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ રહેવા બાબતે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માર્ગ સલામતી અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે રિક્ષા ચાલકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ રોજિંદા માર્ગ વ્યવહારમાં સલામતીના નિયમોનું અમલીકરણ કરી શકે.
ગોધરા સબજેલ ખાતે બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક વિચારધારાના વિકાસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચની પ્રયાસ સંસ્થા દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનોને ઇનડોર તથા આઉટડોર રમતોના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા બંદીવાનો જેલમાં પોતાનો સમય સકારાત્મક રીતે વ્યતીત કરે અને નકારાત્મક વિચારોથી દૂર રહી માનસિક રીતે સુદૃઢ બને તેવા ઉમદા હેતુથી ૫ નંગ કેરમ બોર્ડ, કુકરી, સ્ટ્રાઈકર અને પાવડર સહિત ૫ સેટ ચેસ, ૫ સેટ લુડો તેમજ વોલીબોલ, ક્રિકેટ બેટ, સ્ટમ્પ અને બોલ જેવી રમતગમતની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જેલમાં રહેલી મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકોના મનોરંજન માટે ખાસ રમકડાંઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રયાસ સંસ્થાના કો-ઓર્ડિનેટર અનિલભાઈ વસાવા, સોશિયલ વર્કર આશિષભાઈ, નીતાબેન તેમજ સી.ઓ.પી. વર્કર દિવ્યાબેન પરમાર દ્વારા બંદીવાનોને પ્રેરણાદાયી ઉદબોધન આપી જીવનમાં હકારાત્મકતા લાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાધનોના વિતરણ બાદ જેલમાં જ ઇનડોર ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બંદીવાનોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન જેલ અધિક્ષક આર.બી. મકવાણા, સુબેદાર રણવીરસિંહ સિસોદિયા, હવાલદાર રાજુભાઈ ભરવાડ સહિત જેલના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના આ માનવીય અભિગમને બિરદાવ્યો હતો.
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અવનવી પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિદેશીઓ રાજકોટમાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ તકે રાજકોટનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવી હતી. જે પતંગ મૂળ રાજસ્થાનના પતંગવીરની હતી અને તેણે દેશનું ગૌરવ વધારતી આ ક્ષણને યાદ કરી આવી જ રીતે આગળ દેશ વધતું રહે તે માટેના સંદેશ સાથે આજે ભારતના ફ્લેગ તેમજ ઓપરેશન સિંદૂરની થીમ સાથે પતંગ ઉડાવી હતી. વિદેશી પતંગબાજોએ ગરબા રમી મોજ માણીરાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આવેલા વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસગરબાની મોજ માણી હતી. ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર સ્થાનિક કલાકારો વિવિધ લોકગીતો પર રાસ લઈ રહ્યા હતાં. ત્યારે વિવિધ દેશોમાંથી પધારેલા પતંગબાજો પણ તેમાં જોડાયા હતાં. ઓપરેશન સિંદૂર, સેવ અર્થ સહિતના પતંગો આકર્ષણનું કેન્દ્ર બની આ તકે વિદેશીઓ પણ અહીંની સંસ્કૃતિથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઈન્ડોનેશિયા, ઇઝરાયેલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના 21 દેશો તેમજ ભારતના અલગ-અલગ 7 રાજ્યોના પતંગવીરોએ ભાગ લીધો હતો. પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલા પતંગોમાં ઓપરેશન સિંદૂર, ઇન્ડિયન ફ્લેગ, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રીંગ કાઈટ, સહિતના સંદેશાત્મક પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. '6 મીટરની ભારતીય તિરંગાની પતંગ ઉડાવી રહ્યો છું'રાજસ્થાનથી આવેલા વી.પી શર્માએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનથી આવ્યો છું અને વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઉં છું. આજે 6 મીટરની ભારતીય તિરંગાની પતંગ ઉડાવી રહ્યો છું, જેમાં સાથે મેં ઓપરેશન સિંદૂર થીમ જોડી છે. આપણી ભારતની બે દીકરીઓ કે જેને ઓપરેશન સિંદૂરની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાનને ધૂળ ચટાવી દેનારી આ ગૌરવપૂર્ણ ક્ષણ છે આ ક્ષણને યાદ કરી ઓપરેશન સિંદૂર થીમ વાળી પતંગ ઉડાવી રહ્યો છું. વાતાવરણ પણ ખુબ સારું છે અને પવન પણ સારો છે, જેથી પતંગ ઉડાવવાની મજા આવી રહી છે.
વડાપ્રધાન મોદી સોમનાથમાં શૌર્ય સભાને સંબોધશે:ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથના પ્રભાસતીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સભા માટે ત્રણ વિશાળ અને આધુનિક ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જનસભાના મુખ્ય ડોમમાં 22થી વધુ મોટી LCD સ્ક્રીન લગાવવામાં આવી છે, જેથી અંતિમ હરોળમાં બેઠેલા લોકો પણ પ્રધાનમંત્રીના સંબોધનને સ્પષ્ટ રીતે જોઈ અને સાંભળી શકે. સમગ્ર સભા સ્થળે આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને અન્ય જનસુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વિશાળ સ્ટેજ પર “અખંડ ભારત – અખંડ સોમનાથ” સૂત્રને કેન્દ્રમાં રાખીને સજાવટ કરવામાં આવી છે, જે દેશની એકતા અને સોમનાથના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. વડાપ્રધાનની શૌર્ય યાત્રા અને જાહેર સભાને લઈને સોમનાથમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા ગુજરાત પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ રહેશે. સુરક્ષા માટે 3 IG, 3 DIG, 15થી વધુ SP, અંદાજે 50 DYSP, 100 જેટલા PI, 150 PSI ઉપરાંત 2000થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત SRPની 3 કંપનીઓ અને સ્પેશિયલ સ્ટ્રાઈકિંગ ફોર્સને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી છે. વડાપ્રધાનના રોડ શો, સભા સ્થળ અને સમગ્ર રૂટ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. શૌર્ય સભા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે. મુખ્યમંત્રી વડાપ્રધાનને શૌર્ય પાઘડી પહેરાવશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી શિવનામી અર્પણ કરી અભિવાદન કરશે. આ પછી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સંયુક્ત રીતે વડાપ્રધાનને વિશેષ સ્મૃતિચિહ્ન રૂપે સોમનાથ ભગવાન સાથેની એક ફોટો ફ્રેમ અર્પણ કરશે. આ ફ્રેમમાં રાણી અહલ્યાબાઈ હોલકર, સરદાર વલ્લભભાઈ પટેલ તથા સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો સમાવિષ્ટ રહેશે.
ગોધરામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી સેવા ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયા અને યુએસએ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા, પતંગ-દોરા અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્ય સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. શિયાળાની ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરા, તલ સાંકળી અને પીપૂડા આપવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ વિધવા બહેનોને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્ય શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ પ્રદીપ સોની અને સામાજિક કાર્યકર હેમંતભાઈ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને નિરાધાર લોકોને પોષણયુક્ત આહાર અને શિયાળામાં હૂંફ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. સંસ્થા સમાજના દરેક વર્ગને મદદરૂપ થવાની જવાબદારી નિભાવે છે. ભૂતકાળમાં પણ સંસ્થાએ સમૂહ લગ્નનું આયોજન કરીને આઠ દંપતિઓને લગ્નગ્રંથિથી જોડ્યા હતા.
સુરતના તાપી રિવરફ્રન્ટ પર આજે રેશમી દોરીના તાંતણે સાત સમંદર પારથી આવેલા મહેમાનોના સપનાઓ ઉડાન ભરી રહ્યા છે. ઢોલ-નગારાના તાલે ઝૂમતા વિદેશી પતંગબાજો અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોએ સાબિત કરી દીધું છે કે, ભલે ભાષા અલગ હોય પણ 'પેચ' લડાવવાનો આનંદ તો એક જ છે. અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ સુરતનું આકાશ વિવિધ આકાર અને રંગોના પતંગોથી છવાઈ ગયું હતું, જેણે નગરજનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. 94 પતંગબાજોએ વિવિધ આકાર અને રંગોના પતંગો ઉડાવ્યારાજ્ય પ્રવાસન વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે 94 પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોનાં 45 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના 20 અને ગુજરાતના 29 પતંગબાજો પણ પોતાની વિશિષ્ટ પતંગો સાથે મેદાનમાં ઉતર્યા છે. 'મારી પતંગો ફ્રેમવાળી અને રોમ્બસ આકારની હોય છે'કોલંબિયાથી આવેલી એડ્રિયાનાએ જણાવ્યું હતું કે, અમને ગુજરાત ટુરિઝમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ જ અમારો તમામ ખર્ચ ઉઠાવે છે. મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. મને જ્યારે પણ અહીં આવવાનું આમંત્રણ મળે છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. અહીં બધું જ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું હોય છે. મારી પતંગો ફ્રેમવાળી અને રોમ્બસ આકારની હોય છે, જેને બનાવવામાં ઘણો સમય લાગે છે. 'અહીંના મસાલા, લોકો, નૃત્ય અને નગારાના અવાજો ખૂબ ગમે છે'તાશા (ન્યુઝીલેન્ડ)એ જણાવ્યું હતું કે, હું ન્યુઝીલેન્ડથી આવી છું. ન્યુઝીલેન્ડમાં હું 'ચાઈલ્ડ એન્ડ ફેમિલી સાયકોલોજી'માં ડિગ્રી કરી રહી છું. આ સિવાય, મને પવન ખૂબ ગમે છે. તેને વધુમાં કહ્યું કે, મને અહીં આવ્યાને માત્ર એક જ દિવસ થયો છે, પણ મને આ જગ્યા સાથે ઊંડો પ્રેમ થઈ ગયો છે. આ સ્થળ ખરેખર ખૂબ જ સુંદર છે. અહીંના રંગો અને સંસ્કૃતિ જોઈને એવું લાગે છે કે આપણે સૌ એકતાના તાંતણે જોડાયેલા છીએ. હું અહીં આવી શકી તે બદલ ખૂબ આભારી છું. મને અહીંના મસાલા, લોકો, નૃત્ય અને નગારાના અવાજો ખૂબ ગમે છે; બધું જ જીવંત લાગે છે. 'અહીંનું વાતાવરણ ખરેખર ખૂબ જ રંગીન'પોલેન્ડની બાર્બરાએ જણાવ્યું હતું કે, હું યુરોપના પોલેન્ડથી આવી છું. હું ગુજરાત ટુરિઝમની ખૂબ આભારી છું કે તેમણે અમને આ ખાસ ક્ષણ માટે અહીં આમંત્રિત કર્યા છે. 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ મારી પાંચમી મુલાકાત'એન્જેલિકા બેલારુસની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જણાવ્યું હતું કે, મને ભારતીય ખોરાક અને ગુજરાતી વાનગીઓ પણ ખૂબ ભાવે છે, ખાસ કરીને રોટલી અને ટામેટાનો સૂપ. મારા શહેરમાં આવું ભોજન મળતું નથી, તેથી હું દર વર્ષે અહીં આવીને તેનો આનંદ લઉં છું. પતંગ મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટેનું એક અનોખું પ્લેટફોર્મ છે. આ ઉત્સવ ગુજરાતના સમૃદ્ધ વારસાનું પ્રતિક છે. ભારત માતા કી જય! મને ભારત ખૂબ ગમે છે.
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ જાણીતા 'શુભમ કે માર્ટ'માં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ધરમણભાઈ હેરભા નામના કર્મચારીએ સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી કુલ 3,51,099 ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્ટોર મેનેજર વિવેક રાજારામ માનાપુરે દ્વારા સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકમાં નાણાં જમા ન કરાવી અંગત ઉપયોગ માટે રાખી લીધાચોરીની આ ઘટનાની શરૂઆત ગત 24/12/2025 ના રોજ થઈ હતી. આરોપી દિવ્યેશ હેરભાએ હેડ કેશિયર આકાશ પ્રસાદને પંજાબ નેશનલ બેંકમાં નાણાં જમા કરાવવા મોકલ્યા હતા. જોકે, બેંકની રસીદ તપાસતા તેમાં 50,000 ની રકમ ઓછી માલુમ પડી હતી. આ શંકાસ્પદ તફાવત બાદ જ્યારે મેનેજમેન્ટ દ્વારા ડેઇલી સેલ્સ રિપોર્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે અગાઉની તારીખના 1,91,729 પણ બેંકમાં જમા થયા નહોતા. તિજોરીની તપાસ કરવામાં આવી તો રૂ. 1.08 લાખ ઓછા મળ્યાસ્ટોર મેનેજરે જ્યારે માર્ટની મુખ્ય તિજોરીની તપાસ કરી ત્યારે તેમાં બીજા 1,09,370 પણ ગાયબ હતા. આમ, અલગ-અલગ રીતે કુલ 3.51 લાખથી વધુની રકમ આરોપીએ સેરવી લીધી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ દરમિયાન આરોપી દિવ્યેશે પોતાની તબિયત ખરાબ હોવાનો મેસેજ કરી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. માર્ટના અધિકારીઓએ આરોપીની પત્નીનો સંપર્ક કરતા તેણીએ પણ દિવ્યેશ ક્યાં છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટ્યોઆ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે, જેમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ હોવાનું મનાય છે. CCTVના આધારે પોલીસ આરોપીના લોકેશન અને તેના ભાગવાના રૂટની તપાસ કરી રહી છે. કંપનીના CCTV કેમેરામાં કેદ થયેલા પુરાવાઓ આરોપી વિરુદ્ધ મજબૂત કડી સાબિત થઈ શકે તેમ છે. સિંગણપોર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 176 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. પિન્ટુભાઈ હેમંતભાઈને સોંપી છે. હાલમાં પોલીસ આરોપી દિવ્યેશ હેરભાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેના મૂળ વતન જૂનાગઢ સહિતના સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા SPG સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રૂટ પર ઓન ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમમાં સ્થળે અને રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે રિહર્સલ કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપશે12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે આવવાના છે. ત્યાંથી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં બંને મહાનુભાવો હાજરી આપવાના છે. આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ કાર્યક્રમમાં બંને હાજર રહેવાના છે, જેથી પોલીસ દ્વારા એસપીજી સાથે મળીને કાર્યક્રમના સ્થળો અને રોડ ઉપર ઓન ટાઈમ એટલે કે, જે સમયે બંને મહાનુભાવો આવવાના છે તે સમય પર રિહર્સલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત કાર્યક્રમ સ્થળ અને રૂટ પર પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. PM બન્યા બાદ મોદી 19 ગ્લોબલ લીડરને ગુજરાત લાવ્યા, જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બનશે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે, જોકે દિલ્હીને બદલે તેઓ સીધા અમદાવાદ આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અમદાવાદ પછી જર્મન નેતા બેંગલુરુ જવાના છે. આ મુલાકાત સાથે જર્મન ચાન્સેલર પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન અમદાવાદની મુલાકાત લેનારા વૈશ્વિક નેતાઓની યાદીમાં જોડાશે. મેર્ઝ પહેલાં અને મોદી વડાપ્રધાન બન્યા પછી 19 ગ્લોબલ લીડર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે, જેમાં સૌપ્રથમ મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લીધી હતી.(સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો)

24 C