મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં મહિલા સહિત આઠ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક વૃદ્ધાના ઘરમાંથી મળેલી સુસાઈડ નોટના આધારે કાર્યવાહી કરી હતી. આ ઘટના મોરબીના બાયપાસ રોડ પર આવેલા ડિવાઇન પાર્કના સત્ય બી એપાર્ટમેન્ટમાં બની હતી. ૭૫ વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ ગત ૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતાં મૃતકના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. નોટમાં વૃદ્ધાએ ઉલ્લેખ કર્યો હતો કે એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ તેમને ધમકીઓ આપી હેરાન-પરેશાન કરતા હતા, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. મૃતકના દીકરા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયાની ફરિયાદના આધારે પોલીસે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન (તમામ રહે. સત્ય બી એપાર્ટમેન્ટ, મોરબી) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુસાઈડ નોટમાં સવિતાબેને લખ્યું હતું કે આરોપીઓ તેમને અને તેમના પરિવારને વારંવાર ધાકધમકીઓ આપતા હતા અને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૨૪ માં આરોપીઓએ પાર્કિંગની સફાઈ બાબતે તેમની માતા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ સમાધાનના બહાને અગાસી પર બોલાવી ફરિયાદી અને તેમની માતાને માર મારવામાં આવ્યો હતો, જે અંગે ત્યારે પણ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આરોપીઓ દ્વારા હેરાનગતિ ચાલુ રહેતા સવિતાબેને આપઘાત કર્યો હતો. મોરબીના DYSP જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી કે તમામ આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે.
આણંદ જિલ્લામાં એલપીજી ગેસ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા મામલતદારોનો સમાવેશ થાય છે. આ ટીમો દ્વારા ગેસ એજન્સીઓ અને સંગ્રહસ્થાનો પર આકસ્મિક તપાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ખાતરી આપી છે કે આણંદ જિલ્લામાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાશે નહીં અને સમયસર ગેસ ઉપલબ્ધ થશે. જો કોઈ ગેસ એજન્સી સિલિન્ડર આપવામાં આનાકાની કરે અથવા કાળાબજારી કે સંગ્રહખોરી ધ્યાને આવે, તો ગ્રાહકોને તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી અથવા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં
સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી, જ્યાં પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.… 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ચોટીલામાં 'ચોટીલા ઉત્સવ 2026' યોજાયો:ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ સાથે ભક્તિ અને લોક સંસ્કૃતિનો સંગમ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય 'ચોટીલા ઉત્સવ 2026' પાંચાળની ઐતિહાસિક અને પવિત્ર ધરા પર યોજાયો હતો. જગપ્રસિદ્ધ શક્તિપીઠ મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં લોકસાહિત્ય અને ભક્તિ સંગીતનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા માત્ર શક્તિધામ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. તાજેતરમાં જ અહીં તેમની યાદમાં સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 11 મહત્વના યાત્રાધામોમાં બે દિવસીય સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરાયું છે. સરકારનો મુખ્ય હેતુ સ્થાનિક લોકકલાઓ અને કલાકારોને મંચ પૂરો પાડી આપણી વિરાસતને જીવંત રાખવાનો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ઝવેરચંદ મેઘાણીએ આ માટીની સુગંધ વિશ્વભરમાં ફેલાવી છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે જન્મભૂમિ પર ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવી એ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કલાના સંવર્ધન માટે હંમેશા પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી નવીન પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, આધુનિક શૈલી થકી મેઘાણીજીના જીવન-કવન અને સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડી શકાય છે, જે આપણા ભવ્ય વારસા, દુહા-છંદ અને લોકસાહિત્યના ગૌરવશાળી ઇતિહાસ સાથે તેમને જોડે છે. ઉત્સવના બીજા દિવસે સિદ્દી ધમાલ અને ખ્યાતનામ કલાકારો મયુરભાઈ દવે તથા નારાયણભાઈ ઠાકરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કલાકારોએ મા ચામુંડા અને મા મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરાયો હતો. આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ, તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ચોટીલા મંદિરના મહંત લાલબાપુ, અવિનાશબાપુ, નિરંજન બાપુ, અગ્રણી સુરેશભાઈ ધરજીયા, પ્રદીપભાઈ ખાચર, તેમજ ચોટીલા અને થાનગઢના મામલતદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત અને પ્રકાશસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
માર્ચ મહિનાનાં અંત સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજબિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ કરવામાં આવી છે. જે લોકોની વીજબિલની રકમ બાકી છે તેઓ પાસેથી તેની વસૂલાત અને જો પૈસા ન ભરે તો તેના કનેક્શનને કાપી નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે (13 માર્ચે )આ અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 23 સબ ડિવિઝનમાં 480 ટીમો કામે લાગીવડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. સ્થળ ઉપર જ બિલ ભરવાની વ્યવસ્થાકંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે તેમછતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઇવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસકનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. વીજ ગ્રાહકોને ત્વરિત બિલ ભરવા અપીલમધ્ય ગુજરાત વીજ કંપનીના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર પી.એન.થાણાવાલાએ જણાવ્યું હતું કે, શહેર વીજ ગ્રાહકોને યોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે તેવામાં વીજ કંપની દ્વારા બિલ વસૂલવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરી છે. દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું રેન્કિંગ હોય છે એમાં આ એક ઈમ્પોર્ટન્ટ પેરામીટર છે કે 31 માર્ચના અંતે કેટલા પૈસા બિલના બાકી છે. એ હેતુથી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય તે માટે આ ડ્રાઈવ રખાઈ છે. વડોદરા શહેરમાં લગભગ 8,20,000 જેટલા કનેક્શન છે. અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં એવા કોઈ વિસ્તાર નથી જ્યાં વસૂલાતમાં તકલીફ પડતી હોય. અમુક વિસ્તારો જૂની સિટીમાં કે અમુક એરિયાઓમાં એવી તકલીફ પડતી હોય છે પણ ઓવરઓલ એવો બહુ વાંધો નથી આવતો. તેઓએ ઉમેર્યું હતું કે, આ ડ્રાઈવ એક દિવસ માટે છે.
આણંદ શહેરમાં જેકે લોટસ પાર્ટી પ્લોટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની એસ્ટેટ વિભાગની ટીમે બિનપરવાનગીથી કરાયેલું બાંધકામ તોડી પાડ્યું હતું. અગાઉ, આ પાર્ટી પ્લોટ પાસે બિલ્ડિંગ યુઝ (BU) અને ફાયર સેફ્ટીની જરૂરી પરવાનગીઓ ન હોવાથી મનપાએ નોટિસ ફટકારી તેને સીલ કર્યું હતું. આ મામલે સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે સંચાલકોને 1 માર્ચ 2026 સુધીમાં જરૂરી પરવાનગીઓ મેળવી લેવા માટે મુદત આપી હતી. જોકે, કોર્ટ દ્વારા અપાયેલી મુદત પૂર્ણ થવા છતાં અને મનપા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં સંચાલકોએ કોઈ પરવાનગીના પુરાવા રજૂ કર્યા નહોતા. હાઈકોર્ટનો સ્ટે હટતા જ મહાનગરપાલિકાએ કાયદાની કલમ 260 હેઠળ આખરી નોટિસ આપી હતી. તેમ છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા, મનપાની ટીમે સ્થળ પર પહોંચીને અનઅધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું. મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં કાયદાના પાલન અંગે ગંભીરતાનો સંદેશ પહોંચ્યો છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. સવારના અગિયાર વાગ્યાથી જ રોડ પર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ અને ઠંડા પીણાંનો આશ્રય લઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે. સામાન્ય હિટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
હિંમતનગરના 6 વોર્ડમાં સેવાસેતુનો પ્રારંભ:આયુષ્યમાન, આધાર કાર્ડ, આવકના દાખલા માટે વધુ અરજીઓ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં વહીવટમાં પારદર્શિતા વધારવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 1, 3, 4, 5, 6 અને 7 માટે આ કાર્યક્રમ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ સેવાસેતુમાં સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા માટે આવ્યા હતા. આ ઉપરાંત, ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અરજીઓનો સ્થળ પર જ ગુણદોષના આધારે નિકાલ કરવાનો છે, જેથી લાભાર્થીઓને એક જ દિવસમાં કાર્ડ સહિતનો લાભ મળી શકે. આ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુમાં વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં આવક, આધારકાર્ડ, ક્રિમિલેયર અને મહેસૂલ વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે. રેશન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, માઁ અમૃતમ્ યોજના, માઁ વાત્સલ્ય યોજના, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો માટેની અરજીઓ પણ લેવામાં આવી હતી. વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજનાઓ માટે પણ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. શહેરી ગરીબો માટે DAY-NULM અંતર્ગત કૌશલ્ય વર્ધક તાલીમ, સ્વરોજગાર કાર્યક્રમ અને સખીમંડળ રચના જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. નગરપાલિકા કક્ષાની સેવાઓ જેવી કે, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક પણ ઉપલબ્ધ હતી. બેંકની યોજનાઓ અને મેડિકલ હેલ્થ કેમ્પ (ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરનું મફત ચેકઅપ) પણ આ કાર્યક્રમનો ભાગ હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ માટે રાજ્યસભામાં વિધાનસભાના ગઠનનો મુદ્દો શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ઉઠાવ્યો છે. તેમણે સદનમાં જણાવ્યું કે આ વિશાળ કેન્દ્રશાસિત પ્રદેશની જનતા લાંબા સમયથી લોકતાંત્રિક અધિકારોની માંગ કરી રહી છે. રાઉતે કહ્યું કે, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લાખો લોકો વિધાનસભાની રચના અને 'અધિકારી રાજ'માંથી મુક્તિની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશનો કોઈ સભ્ય રાજ્યસભામાં પણ નથી, જેના કારણે તેમનો અવાજ ઉચ્ચ સદનમાં પહોંચી શકતો નથી. વર્ષ 2014માં ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાના ગઠનની ભલામણ કરી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ ગૃહ મંત્રાલય અને રાજ્યસભાને પણ સુપરત કર્યો હતો. જોકે, બાર વર્ષ વીતી ગયા હોવા છતાં, આ ભલામણ પર કોઈ કાર્યવાહી થઈ નથી. વિધાનસભાના અભાવે આ વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જેમ કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો, શક્તિહીન બની ગયા છે. તમામ સત્તા વહીવટી અધિકારીઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે, જેઓ સ્થાનિક પ્રતિનિધિઓને પૂછ્યા વિના પોતાના નિયમો બનાવે છે. રાઉતે પ્રશ્ન કર્યો કે, જ્યારે સિક્કિમ, ગોવા અને પુડુચેરી જેવા નાના રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો, જેમની પાસે એક કે બે લોકસભા બેઠકો અને મર્યાદિત મહેસૂલ છે, તેમને વિધાનસભાનો દરજ્જો મળી શકે છે, તો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને આ અધિકાર કેમ નહીં? આ પ્રદેશમાં લોકસભાની બે બેઠકો છે, તેનું મહેસૂલ નાના રાજ્યો કરતાં વધુ છે અને વસ્તી પણ વધી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અગાઉ પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલો આ પ્રદેશ આઝાદીના આટલા વર્ષો પછી પણ 'અધિકારી રાજ'ના ચુંગાલમાં ફસાયેલો છે. સંજય રાઉતે માંગ કરી છે કે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લોકોને લોકશાહીનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ અને તેમને બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં ન આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પોન્ડીચેરી,સિક્કિમ,ગોવા,જેવા રાજ્યને વિધાનસભાનો દરજ્જો આપવામા આવે તો દાદરા નગર હવેલી અને દમણ દીવને કેમ નહિ?
અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા એક હોમિયોપેથીક ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે.આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેસબુક પર મિત્રતા કેળવી પાલનપુર બોલાવ્યાઆ ઘટનાની વિગતો મુજબ આરોપી આરતી ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મેસેન્જર દ્વારા ફરિયાદી ડોક્ટર સાથે સંપર્ક વધાર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ ગત 12 માર્ચ, 2026ના રોજ આરતીએ ડોક્ટરને મળવા માટે પાલનપુર બોલાવ્યા હતા. પાલનપુરની લિજેન્ડ હોટલમાં બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યાં આરતીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવી ફોટા પણ પડાવ્યા હતા.ત્યારબાદ તેણે મહેસાણા જવાનું બહાનું કરી ડોક્ટરની ગાડીમાં સાથે નીકળી હતી. હાઇ-વે પર ફિલ્મી ઢબે અપહરણ અને લૂંટપાલનપુરથી મહેસાણા તરફ આવતી વખતે મોટી દાઉના પાટિયા પાસે આરતીએ તબિયત લથડવાનું નાટક કરી ગાડી ઊભી રખાવી હતી. પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગાડી ઉભી રહેતા જ તેના અન્ય છ સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ડોક્ટર પર હુમલો કરી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને તેમને પાછળની સીટ પર બેસાડી દીધા હતા. આરોપીઓએ ડોક્ટરને ધમકી આપી હતી કે, જો તેઓ 10 લાખ રૂપિયા નહીં આપે તો તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ દરમિયાન તેમનો 50 હજારની કિંમતનો આઇફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો. પોલીસ પેટ્રોલિંગને કારણે ડૉક્ટર બચ્યાઆ ગુનાહિત પ્રવૃત્તિ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. હાઈ-વે પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી ગાડી જોઈને પોલીસે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. તાલુકા પી.આઈ. ડી.આર. રાઓના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડોક્ટરને મુક્ત કરાવ્યા હતા અને આરોપીઓને ઝડપી લીધા હતા. 7 આરોપીઓ સામે ગુનો દાખલપોલીસે આ મામલે આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રહે. પાલનપુર), મોહમદ ફૈઝલખાન પરમાર, સરીફ ઇદ્રીશભાઇ બેલીમ, સમીરખાન અસરફખાન મલેક, આફતાબખાન સલીમખાન અબ્બાસી, સોહિલકુમાર સલીમભાઇ કુરેશી અને સમીરખાન રફીકભાઇ સંધી સામે ગુનાહિત કાવતરું, અપહરણ, મારપીટ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
DRUCC બેઠકમાં વેરાવળ મુદ્દાઓ પર ચર્ચા:મુસાફરોની સુવિધાઓ સુધારવા અને નવી ટ્રેનો માટે સૂચનો રજૂ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર ચર્ચા કરવાનો હતો. બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો. તેમણે ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કરતા ભાવનગર મંડળમાં અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા સ્ટેશનો વિશે માહિતી આપી. સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર મંડળની વિવિધ વિકાસાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટો અને તાજેતરની સિદ્ધિઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પૂરી પાડવી એ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર મંડળની સિદ્ધિઓ અને મુસાફર સુવિધાઓમાં કરાયેલા સુધારાઓની જાણકારી અપાઈ. સમિતિના સભ્યોએ તેમના વિસ્તારો સંબંધિત રેલ સમસ્યાઓ, નવી ટ્રેનોનું સંચાલન, લંબિત પ્રોજેક્ટોની વહેલી પૂર્ણતા અને સ્ટેશનો પર મુસાફર સુવિધાઓ માટે સૂચનો રજૂ કર્યા. વેરાવળના સભ્ય અનિષ એન. રાચ્છે વેરાવળ સ્ટેશનના પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી. જેમાં પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર લિફ્ટ, એક્સીલેટર સીડીની સુવિધા, યાત્રાધામ સોમનાથથી લાંબા અંતરની નવી ટ્રેનની માંગણી, રાજકોટ-વેરાવળ ફાસ્ટ ટ્રેનની માંગણી, તેમજ ફ્લાયઓવર બ્રિજ અને ફૂટઓવર બ્રિજ સહિતની સ્થાનિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના સભ્યોમાં એડવોકેટ કિરણ એમ. ગાંધી, બૈજુ એસ. મહેતા, મહેન્દ્ર શાહ, ઉપેન્દ્રભાઈ જાની, પ્રદીપભાઈ એચ. દેસાઈ, પારસભાઈ સી. શાહ, ડૉ. આર.સી. ગુપ્તા (તમામ ભાવનગર), પ્રવિણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર), અનિષ એન. રાચ્છ (વેરાવળ), જિગ્નેશ કારિયા (પોરબંદર) તથા એસ. એ. સિંહ (અધીક્ષક ઇજનેર, ગાંધીનગર) હાજર રહ્યા હતા. બેઠકના અંતે અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સૂચનો અને રજૂઆતો પર વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી.
જામનગરમાં રંગમતી નદી સ્વચ્છતા માટે જનજાગૃતિ રેલી:DLSA, હોમગાર્ડઝ અને JMCનું સંયુક્ત અભિયાન
જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ સમાન રંગમતી નદીને પ્રદૂષણમુક્ત રાખવા અને તેની સ્વચ્છતા જાળવવા માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ (DLSA), હોમગાર્ડઝ અને જામનગર મહાનગરપાલિકા (JMC) ના સંયુક્ત ઉપક્રમે આ ‘સ્વચ્છતા સંદેશ’ રેલી યોજાઈ હતી. આ જાગૃતિ રેલી શહેરના આદર્શ સ્મશાન પાસેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરીને સિધ્ધનાથ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નદીમાં કચરો ફેંકતા અટકાવવાનો અને જામનગરના નાગરિકોને નદી પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીનું ભાન કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ નદીના અસ્તિત્વને બચાવવા માટે મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા. DLSA ના સચિવ અનિકેત શુક્લાએ જણાવ્યું હતું કે રંગમતી નદી જામનગરની શાન છે અને તેનું ભવિષ્ય અંધકારમય ન બને તે જોવાની જવાબદારી સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે કાનુની સેવા સત્તા મંડળ આ કાર્ય માટે કટિબદ્ધ છે. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડઝના જવાનોને આ સેવામાં જોડીને લોકોને નદી સ્વચ્છ રાખવા માટે નમ્ર અપીલ કરી હતી. આ રેલીમાં DLSA ના સચિવ, પેરા લીગલ વોલન્ટીયર્સ અને એડવોકેટ મિત્રો, હોમગાર્ડઝના જવાનો અને અધિકારીઓ તેમજ JMC ના સફાઈ વોરિયર્સ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રંગમતી નદીને ગંદકીથી બચાવવી એ માત્ર તંત્રનું જ નહીં, પરંતુ દરેક જામનગરવાસીનું કર્તવ્ય છે.
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર: ચાવડાકોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. ‘વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થતાં પેટ્રોલિયમ-ગેસ સપ્લાય મુદ્દે દેશને નુકસાન’અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે. ‘આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે’તેમણે ચેતવણી આપી હતી કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે તરસમિયા રોડ ખોડીયારનગર વિસ્તારમાં રહેણાંક મકાન સામે નંબર પ્લેટ વગરની પાર્ક કરેલી કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની 284 બોટલ વિદેશી દારૂ તથા કાર મળી કુલ 8.65 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન શખસ હાજર નહીં મળી આવતા સમગ્ર મામલે શખસ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદેશી દારૂની 284 બોટલો અને ફોર વ્હીલ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોઆ અંગે પેરોલ ફર્લો સ્કવોડ કચેરીથી મળતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાન વાડી, ખોડીયારનગર, ખારશી વિસ્તાર, તરસમીયા રોડ, ભાવનગર તેની હયુન્ડાઇ કંપનીની નંબર પ્લેટ વગરની વેન્યુ ફોરવ્હીલ કારમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે અને તે દારૂ ભરેલ ફોરવ્હીલ કાર તેના રહેણાંક મકાનની સામે જાહેર રોડ પર પાર્ક કરી છે. પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરીબાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં રાજુભાઇ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ શખસ હાજર મળી આવ્યો ન હતો. જેથી, પોલીસે તેની ફોરવ્હીલ કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 284 બોટલો 2,65,230 અને ફોરવ્હીલ કાર 6,00,000 મળી કુલ 8,65,320 સહિતનો મુદ્દામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાનવાડી, ખોડીયારનગર, તરસમીયા રોડ, ભાવનગર વિરૂદ્ધ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છોટા ઉદેપુર જિલ્લામાં ઈકો ગાડીઓની છત પર જીવ જોખમે મુસાફરી કરતા લોકોના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ગાડીઓની છત પર સામાન, બાઈક અને મુસાફરો બેઠેલા જોવા મળે છે. છોટા ઉદેપુર આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ગુજરાતના કચ્છ તથા કાઠિયાવાડમાં મજૂરી કરવા જાય છે. હોળી આસપાસ ખેતીની સિઝન પૂરી થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે. આ મજૂરો ઘણીવાર જીવનું જોખમ ખેડીને વાહનો પર બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ચારોલા અને નર્મદા કેનાલ પાસે આવા બે ઈકો ગાડીના વીડિયો સામે આવ્યા છે. આ ગાડીઓમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરેલા હતા અને છત પર સામાન, બાઈક મૂકીને તેના પર પણ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા વાહનો દરરોજ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી. એવું લાગે છે કે તેઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારી પોતાની 13 વર્ષની દીકરીની આંખની સારવાર માટે નવી મુંબઈ ગયા હતા, ત્યારે જ સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વાશીની હોટલમાં રોકાયેલા વસીમ ખાનને પાકિસ્તાની નંબર પરથી વ્હોટ્સએપ કોલ કરી ગેંગના સાગરીતે કોર્ટ કેસમાં સાક્ષી તરીકે ન જવા અને રૂ. 50 લાખની ખંડણીની માંગણી કરતા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગેંગના સાગરીતે તારી સિસ્ટમ બેસાડી દઈશું કહી ધમકી આપતા સુરત અને મુંબઈ પોલીસ હરકતમાં આવી છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા આ ધમકીભર્યા કોલ અને ઓડિયો ક્લિપના પુરાવાએ વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયુંફરિયાદી વસીમ યુસુફ ખાન (ઉં.વ. 36), જેઓ સુરત રેલવે સ્ટેશન પર પેડા પાર્કિંગનો વ્યવહાર સંભાળે છે, તેઓ ગત ફેબ્રુઆરી માસમાં પોતાની 13 વર્ષની દીકરી આકિફાની આંખની સારવાર માટે નવી મુંબઈની 'શ્રીધરીયમ આયુર્વેદિક આઈ ક્લિનિક' ખાતે ગયા હતા. તેઓ વાશી વિસ્તારની 'લેમન ટ્રી પ્રીમિયર' હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન 18 ફેબ્રુઆરીના રોજ બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયું હતું. ઓડિયો ક્લિપમાં કેદ થયો ગેંગનો આતંક: '50 લાખ મિનિમમ તૈયાર રાખજે'સદામ ગેંગ સામે ફરિયાદ કરનાર વસીમ ખાને હિંમત બતાવી આ સમગ્ર ધમકીભર્યા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, જે હવે પોલીસ માટે મહત્ત્વનો પુરાવો બન્યો છે. કોલ કરનાર શખ્સે અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, 'તેં સાહીદ ગોડીલ અને સદ્દામને બહુ હેરાન કર્યા છે. હવે તારી આખી સિસ્ટમ અમે બેસાડી દઈશું. તારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા તો આપવા જ પડશે, આ છેલ્લી ચેતવણી છે.' આ વાતચીત સાંભળતા જ સુરત અને મુંબઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. FIR મુજબ ધમકીનો શબ્દશઃ સંવાદ આ મુજબ હતો:અજાણ્યો કોલર: ‘હેલો, હેલો અરે બોલ તો સહી, તું કોણ બોલી રહ્યો છે?’ વસીમ (ફરિયાદી): ‘હેલો, વસીમ વાત કરી રહ્યો છું, તમે કોણ?’ અજાણ્યો કોલર: 'મને છોડ, જે પણ વાત કરી રહ્યો છે, તું સાહીદ અને સદ્દામને બહુ પરેશાન કરી રહ્યો છે. તું તેની કોર્ટની તારીખ પર કેમ જાય છે? મેં કહ્યું ને, તું સાહીદ-સદ્દામને બહુ પરેશાન કરે છે. તું હવે તૈયાર રહેજે અને પૈસા પણ તૈયાર રાખજે, સમજાયું?' વસીમ: ‘શેના પૈસા?’ અજાણ્યો કોલર: ‘એ તને બતાવી દઈશ. મેં આખી સિસ્ટમ લગાવી દીધી છે અને તે જે ફૈઝલભાઈને પરેશાન કર્યા છે ને, તે પણ આવી રહ્યો છે. તારી આખી સિસ્ટમ લગાવી દેશે. થોડા દિવસ સતર્ક રહેજે. તારીખ પર જવાનું છે, હું તને કહીશ.’ વસીમ: ‘પણ શેના પૈસા?’ અજાણ્યો કોલર: 'તેં જે લોકોને હેરાન કર્યા છે ને, એના પૈસા તારે આપવા પડશે.મિનિમમ 50 લાખ રૂપિયા તૈયાર રાખજે, પછી કહેતો નહીં કે જણાવ્યું નહોતું.' સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગનો ગુનાહિત ઇતિહાસ અને ગુજસીટોકસાહીદ શબ્બીર ગોડીલ અને સદ્દામની ગેંગ સુરતમાં વર્ષોથી સક્રિય છે અને તેમના પર અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મુખ્યત્ત્વે જમીન પચાવી પાડવી, છેતરપિંડી અને મોટા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું કામ કરે છે. તેમની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સુરત પોલીસ દ્વારા અગાઉ તેમના પર GUJCTOC (ગુજસીટોક) જેવો કડક કાયદો પણ લાદવામાં આવ્યો છે. છતાં પણ જેલની અંદર કે બહારથી તેમનું નેટવર્ક હજુ પણ કાર્યરત હોવાનું જણાય છે. ખંડણી માટે ક્રિપ્ટોકરન્સી અને GST કૌભાંડનો ઉપયોગઆ ગેંગ પરંપરાગત ગુનાઓ છોડીને હવે આધુનિક રીતે આર્થિક ગુનાઓ આચરી રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેઓ વેપારીઓને ડરાવીને ખંડણીની રકમ USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં માંગતા હોય છે જેથી પોલીસ નાણાકીય વ્યવહારો શોધી ન શકે. આ ઉપરાંત, આંતરરાજ્ય GST કૌભાંડમાં પણ આ ગેંગના સભ્યોની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. મુંબઈમાં નોંધાયેલી આ નવી ફરિયાદ બાદ હવે તેમના આર્થિક સામ્રાજ્ય પર પણ પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી શકે છે. ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરીને સાક્ષીઓને તોડવાનો પ્રયાસવસીમ ખાન સુરતની કોર્ટમાં સાહીદ ગોડીલ વિરુદ્ધના કેસમાં નિયમિત હાજરી આપતા હોવાથી ગેંગ તેમને રસ્તામાંથી હટાવવા માંગે છે. ધમકી આપનાર વ્યક્તિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'તું રોજ તારીખ પર જઈને કોર્ટમાં કેમ ઉભો રહી જાય છે?' આના પરથી સાબિત થાય છે કે ગેંગ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરીને સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસે ફરિયાદી અને તેમના પરિવારની સુરક્ષા વધારવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ તેજ કરીઆ આખી ઘટના નવી મુંબઈના વાશી વિસ્તારમાં બની હોવાથી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય નંબરની તપાસ શરૂ કરી છે, જે પાકિસ્તાનનો કોડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. સુરત SOG અને ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં સક્રિય થઈ છે અને જેલમાં બંધ સાહીદ ગોડીલની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. સુરતના વેપારી આલમમાં પણ આ ઘટનાને લઈ ભારે ફફડાટ છે.
એવું કહેવાય છે કે, શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આ વાતને સુરતના એક વૃદ્ધે અક્ષરશઃ સાચી સાબિત કરી દીધી છે. સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના બંડારી ઉપ્પલૈયા પુલ્લૈયાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નિવૃત્તિની ઉંમરે પરીક્ષા ખંડમાં બેસીને પેન ચલાવતા ઉપ્પલૈયા દાદા આખી શાળા અને શહેર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોણ છે બંડારી ઉપ્પલૈયા? અધૂરા સપનાની સફરવર્ષો પહેલા પારિવારિક જવાબદારીઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો હતો. જોકે, મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે તેઓ વિધિવત રીતે ભણે અને ખાસ કરીને જે ભૂમિ પર રહે છે, તેની માતૃભાષા ગુજરાતીમાં નિપુણતા મેળવે. આ જ અતૂટ શ્રદ્ધા સાથે તેમણે 65 વર્ષે ફરીથી કલમ પકડી છે. યોગીચોકની સરસ્વતી વિદ્યા સંકુલમાં અનોખો નજારોપરીક્ષાના દિવસે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાના પેપરની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ઉપ્પલૈયા દાદા પોતાની બેન્ચ પર શાંતિથી બેસીને ગુજરાતીનું પેપર લખી રહ્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સંચાલક ભરતભાઈએ દાદાના આ સાહસને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉપ્પલૈયાજીનો આ પ્રયાસ માત્ર પરીક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન પ્રત્યેની તેમની અખૂટ ભૂખ દર્શાવે છે. ગુજરાતી વિષય પ્રત્યેનો પ્રેમ અને લગન65 વર્ષની વયે નવી ભાષા શીખવી અને તેની પરીક્ષા આપવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ બંડારી ઉપ્પલૈયા એ સાબિત કર્યું કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો ભાષા કે ઉંમર ક્યારેય આડે આવતી નથી. તેમણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોના ઉત્તરો જે રીતે લખ્યા, તે તેમની મહેનતની ચાડી ખાય છે. શાળાના સ્ટાફે પણ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કર્યા હતા. ‘દાદા ભણી શકે તો અમે કેમ નહીં?’આ ઘટનાની સૌથી મોટી અસર શાળાના યુવા વિદ્યાર્થીઓ પર પડી છે. પરીક્ષાના ટેન્શનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બંડારી ઉપ્પલૈયા એક જીવતું-જાગતું ઉદાહરણ બન્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમને દાદાને જોઈને ઘણું શીખવા મળ્યું છે. ઘણીવાર અમે નાની નિષ્ફળતાથી હારી જઈએ છીએ, પણ દાદાએ 65 વર્ષે જે જુસ્સો બતાવ્યો છે તે અવિશ્વસનીય છે. આ પ્રસંગે શાળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સમાજ માટે મજબૂત સંદેશબંડારી ઉપ્પલૈયા પુલ્લૈયા એ માત્ર પરીક્ષા નથી આપી, પણ સમાજના એ દરેક વ્યક્તિને સંદેશ આપ્યો છે જેઓ ઉંમર થઈ ગઈ હોવાનું બહાનું કાઢીને શીખવાનું છોડી દે છે. શિક્ષણ એ કોઈ ડિગ્રી મેળવવા પૂરતું સીમિત નથી, પણ વ્યક્તિત્વના વિકાસ માટે અનિવાર્ય છે. સુરતના આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે અને લોકો દાદાની હિંમતને સલામ કરી રહ્યા છે.
વાપી GIDCમાં ખાણી-પીણીની દુકાનો પર આકસ્મિક ચેકિંગ:ઘરેલુ ગેસનો કોમર્શિયલ ઉપયોગ કરતા 5 સિલિન્ડર સીઝ
વાપી GIDC વિસ્તારમાં ખાણી-પીણીની દુકાનો પર અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ કરતા પાંચ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. ગેસની અછતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘરેલુ ઉપયોગ માટે ફાળવવામાં આવતા ગેસ સિલિન્ડરનો વ્યાપારીક હેતુ માટે ઉપયોગ કરવો નિયમો વિરુદ્ધ છે. આ નિયમભંગ બદલ સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ગેસની વર્તમાન અછતને ધ્યાનમાં રાખીને આવી આકસ્મિક તપાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલુ ગ્રાહકોને પૂરતો ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાનો અને ગેસના ગેરવપરાશ પર નિયંત્રણ મેળવવાનો છે.તપાસ પૂર્ણ થયા બાદ, તમામ વેપારીઓને નિયમોનું કડક પાલન કરવા અને ઘરેલુ ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ ન કરવા અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવેલા પાણીના કુંડોને સાફ કરી તેમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરી તેમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ કામગીરીના કારણે સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમી દરમિયાન પીવાનું પાણી સરળતાથી મળી રહેશે. વન વિભાગની આ પહેલથી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે મોટી રાહત સર્જાઈ છે. આ અંગે માહિતી આપતા સહાયક વન સંરક્ષક (ACF) પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વેરાવળ રેન્જ હેઠળ સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં 20થી વધુ સિંહોનો સમૂહ વસવાટ કરે છે, ઉપરાંત દીપડા સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ હોય છે, પરંતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં આ સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવો માટે પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેરાવળ રેન્જમાં કુલ 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ 8 પોઈન્ટમાંથી 5 પાણીના પોઈન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, જ્યારે 2 પોઈન્ટ હેન્ડપમ્પ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી (વિન્ડ મિલ) મારફતે ભરવામાં આવે છે. ACF પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં આવા કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવાથી વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે. ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં ન જાય અને માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ન બને તે માટે આ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. વન વિભાગ દ્વારા આ પાણીના પોઈન્ટની નિયમિત દેખરેખ, સફાઈ અને પાણી ભરવાની કામગીરી માટે ખાસ બે કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. વન વિભાગના આ પ્રયાસોથી ઉનાળાની કઠિન ઋતુ દરમિયાન ગીર વિસ્તારના વન્યજીવોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પોતાના લગ્નની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોમાં તેણે લગ્ન બાદ મળી રહેલી ગંભીર ધમકીઓ અને વિરોધ અંગે આકરા પ્રહારો કર્યા છે. કિંજલ રબારીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે મદદ તેમજ સુરક્ષાની માંગ કરી છે. લગ્ન બાદ મળી રહી છે મારી નાખવાની ધમકીઓ ઉલ્લેખનીય છે કે, અગાઉ કિંજલ રબારીએ એક વીડિયો દ્વારા પોતાના લગ્નની જાણકારી આપી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિંજલે આક્ષેપ કર્યો છે કે તેને મારી નાખવાની કે અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેણે સ્પષ્ટ કર્યું કે લગ્નનો નિર્ણય તેની અંગત પસંદગી છે અને તે પોતાની મરજીથી સાસરે ગઈ છે, તેથી કોઈને પણ તેની અંગત જિંદગી પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. સમાજના બેવડા ધોરણો સામે રોષ કિંજલ રબારીએ આક્ષેપ કર્યો કે જ્યાં સુધી તે કમાણી કરીને પરિવાર અને સમાજને આર્થિક રીતે મદદ કરતી હતી, ત્યાં સુધી તે સૌ માટે આદર્શ હતી. પરંતુ જ્યારે તેણે પોતાના જીવનનો એક અંગત નિર્ણય લીધો, ત્યારે તેને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે કોઈ દીકરો બીજા સમાજની દીકરીને પરણીને લાવે ત્યારે તેને સ્વીકારી લેવાય છે, પરંતુ દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે ત્યારે જ વિરોધ કેમ? દીકરીઓ પર પ્રતિબંધ મૂકવાની માનસિકતા પર પ્રહાર વીડિયોમાં કિંજલે જણાવ્યું કે સમાજના કેટલાક લોકો દીકરીઓ માટે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહ્યા છે. તેણે સમાજને વિનંતી કરી છે કે લડવાને બદલે સમજદારી અને એકતા જાળવે. આ સાથે જ તેણે ધમકી આપનારા તત્વો સામે નમવાને બદલે કાયદાકીય લડત આપવાની મક્કમતા દર્શાવી છે. સિંગર કિંજલ રબારીનો શબ્દશ: સંદેશકાલે મેં એક વીડિયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે, મારી રાજીખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે—'મારી નાખીશું', 'ઉપાડી જઈશું'. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું પણ મૂક્યું છે સમાજવાળાઓએ કે—'ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું.' તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે? મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ (સ્વીકાર્ય) હોય છે, જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરોધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો એ બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ (વિનંતી) હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ (પસંદગી) છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. સિંગર કિંજલ રબારી વિવાદ સંબંધિત આ સમાચાર પણ વાંચો સિંગર કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદમાં ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે છે… સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો આ સમાચાર પણ વાંચો કિંજલ રબારીના પ્રેમલગ્ન અંગે વાવ-થરાદના રબારી સમાજના અગ્રણીનું નિવેદન વાવ-થરાદના રબારી સમાજના અગ્રણી ઠાકરશીભાઈ રબારીએ સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્ન અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં દરેક સમાજની પોતાની મર્યાદાઓ અને બંધારણ હોય છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે…સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લીક કરો
વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ઇન્ડિયન રીયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારીમાં આગ લાગી હતી. સવારે 4:02 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લારીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. જોકે, લારીની બાજુમાં જ વીજ પુરવઠાનો ટ્રાન્સફોર્મર આવેલો હોવાથી પરિસ્થિતિ વધુ જોખમી બની શકે તેમ હતી. આગ ટ્રાન્સફોર્મરના કેબલ સુધી પહોંચી જતાં તેમાં પણ આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર વિભાગે તરત જ પીજીવીસીએલ (PGVCL) ને જાણ કરી હતી. પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો બંધ કરાયા બાદ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ સમગ્ર કામગીરીમાં વેરાવળ ફાયર બ્રિગેડના સ્ટાફ રોહિતભાઈ વંશ અને વિજય કોડીયાતર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય હતી.
ઈડરના ડુંગર પર લાગેલી આગ 12 કલાકે બુઝાઈ:27 હજાર લીટર પાણીનો ઉપયોગ, વન્યજીવો પર ખતરો
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરોમાં ગુરુવારે બપોરે લાગેલી આગને ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે 12 કલાકની જહેમત બાદ રાત્રે બુઝાવી હતી. આ ઘટનામાં 27 હજાર લીટર પાણીનો ઉપયોગ થયો હતો, જેના કારણે ડુંગરો પરના વન્યજીવો પર ખતરો તોળાઈ રહ્યો છે. ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ઈડર ફાયર વિભાગને મળ્યો હતો. તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ પ્રસરી હોવાથી હિંમતનગર ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઈડર ફાયર વિભાગના કમલભાઈ પટેલે જણાવ્યું કે, ચાર ફાયર ફાઈટર અને 20 ફાયર ટીમના જવાનોએ ખડેપગે રહીને 12 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન કુલ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવીને રાત્રે 3 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈડર વન વિભાગના RFO ગોપાલભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ડુંગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો નથી, પરંતુ ખાનગી માલિકીનો છે. તેથી, આગ બુઝાવવાનો વિષય ફાયર વિભાગનો છે. ઈડરના ડુંગરોમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે ચિંતાનો વિષય છે.
તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી
ભવન્સ એચ.જે. દોશી કોલેજની વિદ્યાર્થિની તન્વી બ્લોચની કુસ્તીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે. આ ટુર્નામેન્ટ હરિયાણા ખાતે યોજાશે. તન્વીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે સતત ત્રણ મેચમાં વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેના આધારે તેની પસંદગી નિશ્ચિત થઈ. આગામી ૧૭ માર્ચ, ૨૦૨૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) કુસ્તી (બહેનો) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તન્વી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તન્વીની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા, સમગ્ર મેનેજમેન્ટ સભ્યો અને અધ્યાપકગણે તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ પરિવારે જણાવ્યું કે તન્વીએ માત્ર કોલેજનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તમામ સ્ટાફ મિત્રોએ તેને આગામી નેશનલ ટુર્નામેન્ટમાં પણ વિજેતા બનીને પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ભરૂચ જિલ્લામાં આવતીકાલે, ૧૪ માર્ચે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તેમજ ભરૂચ સહિત ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતેના આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે લોકોને સંબોધન કરશે. ભરૂચના નાગરિકોની સુખાકારી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભરૂચ શહેરને નવી ઓળખ આપશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં રૂ. ૫ કરોડના ખર્ચે એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. આ કોમ્પ્લેક્સમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ અને બેડમિન્ટન કોર્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂ. ૧૦.૯૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કુલ રૂ. ૧૮૧ લાખના ખર્ચે જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં ડિજિટલ સુવિધાઓથી સજ્જ આદર્શ જનસેવા કેન્દ્રો કાર્યરત બન્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની પોતાની આવક ઊભી થાય અને તેમાંથી જિલ્લાના વિકાસના વિવિધ કાર્યો થઈ શકે તે હેતુસર અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં નર્મદા નદી કિનારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ સાથે ભરૂચ શહેરમાં સિટી સેન્ટર સામે રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, જિલ્લા પંચાયત સામે આવેલી એસબીઆઈ બેંકની જગ્યા પર આધુનિક શોપિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત, જંબુસર, નેત્રંગ અને રાજપારડી ખાતે પણ જિલ્લા પંચાયતના નવા કોમ્પ્લેક્સના નિર્માણ માટે મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે જ, જિલ્લામાં અન્ય અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં
સંઘ પ્રદેશ દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઊભેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે દરિયામાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂરથી દેખાતા બીચ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બોટમાં આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં તે સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરિયામાં આગ ભભૂકતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે બીચ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરિયામાં પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડમાં ગરમીનો પ્રકોપ વધશે, તાપમાન 36°C પાર:હવામાન વિભાગે બપોરે લૂ ફૂંકાવાની આગાહી કરી
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર, 13 માર્ચના રોજ જિલ્લામાં ગરમીનો 'બીજો તબક્કો' અનુભવાશે. દિવસ દરમિયાન તાપમાન 35C થી 36C સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22C થી 24C આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા બપોરના સમયે ભેજનું પ્રમાણ ઘટશે. હવામાન સૂકું બનવાથી બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કાળઝાળ ગરમી અને લૂ ફૂંકાઈ શકે છે. ભેજનું પ્રમાણ અંદાજે 28થી 35 વચ્ચે રહેતા લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, 14 માર્ચ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. તબીબો અને હવામાન નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા માટે લીંબુ પાણી, છાશ અને પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવી છે. બહાર જતી વખતે માથું રૂમાલ અથવા ટોપીથી ઢાંકવું અને હળવા, સુતરાઉ કપડાં પહેરવા પણ સૂચવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે અંદાજિત તાપમાન નીચે મુજબ છે: વલસાડમાં 33C / 25C, ધરમપુરમાં 33C / 25C, કપરાડામાં 39C / 23C, પારડીમાં 37C / 23C, વાપીમાં 34C / 24C અને ઉમરગામમાં 33C / 24C તાપમાન રહેવાની શક્યતા છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચો જતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતી વખતે પૂરતી કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા 'અવસર પ્લાઝા'માં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી છેલ્લા દોઢ વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને 'શુદ્ધ ગાયનું ઘી' કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસની કાર્યવાહીઉત્રાણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાન (108) નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો. કેવી રીતે તૈયાર થતું હતું 'ઝેરી' ઘી?આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ, આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌ પ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ (કેમિકલ સિરપ) ઉમેરવામાં આવતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને 'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતોપોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી (કિંમત ₹3.50 લાખથી વધુ), 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા (નાની-મોટી સાઈઝના), મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે. દોઢ વર્ષથી ચાલતું હતું વેચાણ: એકની ધરપકડ, એક ફરારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું. આ કેસમાં બે મુખ્ય સૂત્રધાર સામેલ છે. નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં. 32) જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30) જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો. તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે. તંત્રની કડક કાર્યવાહીના સંકેતહાલ પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી છે અને જપ્ત કરાયેલા ઘીના નમૂના એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી ઘી કયા કયા વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને યોગ્ય બિલનો આગ્રહ રાખવો જોઈએ. ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
અડાલજની સ્વીટકેર પ્રાથમિક શાળા અને સાંઈ વિદ્યામંદિર ખાતે ગુરુવારે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ડાન્સ ક્લાસના પ્રજ્ઞાબેન ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, ગણપતિ આરાધના, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ષ દરમિયાન થયેલી માસિક પ્રવૃત્તિઓ તથા શ્રેષ્ઠ શિક્ષકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્કૂલના પ્રિન્સિપાલ મયુરભાઈ પુરાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે થયેલી મારામારીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, અશ્વિનીકુમાર રોડ પર લારી ઊભી રાખવા જેવી કોઈ ક્ષુલ્લક બાબતે પાણીપુરીના વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો મર્યાદા ભૂલીને સામસામે આવી ગયા હતા. ગુસ્સામાં આવેલા યુવકોએ એકબીજા પર લાકડાના ફટકા વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડીભીડભાડ વાળા રસ્તા પર જાહેરમાં લાકડાના ફટકા ઉછળતા જોઈને રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાળ પડી હતી. મારામારી વધતી જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને ચારથી વધુ યુવકોને છોડાવ્યા હતા. લોકોના સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. વીડિયો વાઇરલ અને પોલીસ કાર્યવાહીઆ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવકો એકબીજા પર ઘાતક રીતે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. અશ્વિનીકુમાર વિસ્તારની પોલીસ દ્વારા વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી હતી, જેમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જોકે, ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા આંશિક રાહત તો મળી છે, પરંતુ હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા શહેરોમાં હીટવેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. હિમચાલ પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા ડામર પીગળતી ગરમીમાંથી લોકોને થોડી મુક્તિ મળી છે, છતાં બપોરના સમયે હજુ પણ લૂનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહતહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં આજે પણ હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં થોડોક ઘટાડો નોંધાયો છે. રાજકોટ સહિત આ ચાર શહેરોમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહીરાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતાં સમગ્ર રાજ્યમાં ડામર પીગળી જવાની ઘટનાઓ પણ બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ગરમીને કારણે લોકો બેભાન થયેલા જોવા મળ્યા હતા. ત્યારે હવે રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં આંશિક રીતે ગરમીમાંથી રાહત મળી છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં પનીર, ઘી અને ખાદ્ય તેલ જેવા પદાર્થો સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે, જેમાંથી બે વર્ષમાં કુલ 218 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 14 નમૂના ફેઈલ થયા હતા, જેમાં પનીરના 5, તેલના 5 અને ઘી ના 2 નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી, ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા બે વર્ષમાં દૂધ, ઘી, પનીર, માવા, તેલ સહિત અન્ય ચીજ વસ્તુઓના જુદા જુદા નમુના લેવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2024માં કુલ 74 નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમજ વર્ષ 2025 માં 142 નમૂના લેવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2026 માં 3 નમૂના લેવામાં આવ્યા હતા, આમ કુલ 219 ખાદ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, છેલ્લા બે વર્ષના આંકડા પર પર નજર કરીએ તો, મનપા દ્વારા લેવામાં આવેલા પનીર, દૂધ, ઘી, માવા અને અન્ય ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં દૂધના 10, ઘીના 20, પનીરના 16, માવાના 11 તેમજ અન્ય ચીજવસ્તુઓના 161 નમૂના મળી કુલ 219 નમૂનાઓમાંથી 14 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેમાં ઘી ના 2 નમૂના, પનીર ના 5 નમૂના, તેલ ના 5 નમૂના તથા અન્ય 2 નમૂના મળી કુલ 14 નમૂના ફેઈલ થયા હતા, જેના પગલે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, વર્ષ 2024 ની સરખામણીએ 2025માં નમૂના લેવાની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે, આરોગ્ય વિભાગ દ્વારા માત્ર નમૂના લઈને સંતોષ માનવામાં આવ્યો નથી, પરંતુ જવાબદાર પેઢીઓ સામે કાયદેસરના પગલાં પણ લેવામાં હતા, જેમાં કુલ 14 ફેલ નમૂનાઓ પૈકી 5 પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી એજ્યુડિકેટિંગ ઓફિસર દ્વારા રૂ.2,78,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે બાકીની 9 પેઢીઓ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ દિવાળીના તહેવારો દરમિયાન તંત્રએ બાતમીના આધારે 1875 કિગ્રા ખાદ્ય તેલનો રિપોર્ટ ફેઈલ આવતા તેની સામે કાર્યવાહી કરી અંદાજિત રૂ.2,62,500 ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો, આ તેલનો રિપોર્ટ પણ ફેલ આવતા હવે તેલના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત (12 માર્ચ) મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. મુસાફરો ગાઢ નિદ્રામાં હતા ને આગ ફાટી નીકળી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જીવ બચાવવા મુસાફરોની બારીમાંથી છલાંગ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું. 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા, સારવાર માટે ખસેડાયા એક મુસાફરે જણાવ્યું હતું કે, અમે જેસલમેર લગ્ન પતાવીને અમદાવાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. આગ કેવી રીતે લાગી એ ખબર નથી પણ બધા માણસો બસમાં ફસાઇ ગયા હતા. જેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બચાવ કામગીરી અને તંત્રની દોડધામ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. રાજસ્થાનથી પણ ફાયર ફાઈટરોે બોલાવવાની ફરજ પડી આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ તપાસ શરૂ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલો ટ્રાફિક પોલીસે પુનઃ કાર્યરત કરાવ્યો હતો. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ખાનગી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શહેરના પાલડી વિસ્તારમાં AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાંAMTS રુટ 35ની બસ લાલદરવાજાથી બાવળા તરફ જતી હતી. તે દરમિયાન પાલડીના જૈન મરચંટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી. બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઊતારી દીધાં હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી પણ આગ ચાલુ થઈ ગઈ હતી. ફાયર એક્ષ્ટીંન્ગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાછળ આવતી બસોમાંથી પણ ફાયર એક્ષ્ટીંન્ગ્યુશર કાઢી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. બસમાં આગળની 4 સીટો સળગી ગઈ હતીફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી દીધી હતી. બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સિલીંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી. બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવીનરોડા GIDCમાં પણ મોડી રાત્રે એક ટેલરના શેડમાં આગ લાગવાની ઘટના બની હતી. GIDCના પ્લોટમાં આવેલા કલ્પેશ ટેલરમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. બે જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
181માંથી માત્ર 25 ધારાસભ્યો જોડાયા:યોગમય વિધાનસભાની વાતો વચ્ચે MLA આવાસે યોગ કાર્યક્રમમાં નબળી હાજરી
12મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026’ને ધ્યાનમાં રાખીને 100 દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ ગાંધીનગરના નવા MLA આવાસ ખાતે આયોજિત ‘કર્ટન રેઝર’ કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે આગામી 100 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યોવિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના અનેક દેશોએ સહર્ષ સ્વીકારી 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં યોજાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશેગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્યોને યોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. “એક કદમ યોગમય વિધાનસભા તરફ” સૂત્ર સાથે આયોજિત આ અભિયાન અંતર્ગત આગામી 100 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશે. આ અભિયાન દ્વારા 21મી જૂન પહેલાં રાજ્યભરમાં યોગનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જન-જનને આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમમાં 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતીજોકે, રાજ્યની 181 સભ્યોની વિધાનસભામાંથી આ યોગ કાર્યક્રમમાં માત્ર આશરે 25 જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતી, જેમાં 5 મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. યોગમય વિધાનસભાની વાતો વચ્ચે ધારાસભ્યોની નબળી હાજરી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય યોગ બોર્ડના આયોજન મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં મોટા પાયે યોગ શિબિરો યોજાશે અને વધુમાં વધુ નાગરિકોને યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન ગુજરાતને દેશનું સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રાવપુરા પોલીસે ગંભીરતા દાખવી આરોપી નરેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી તેની બંદૂક અને કારતૂસ જપ્ત કરી પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડે પોતાના પરવાનાવાળા યુ.એસ. 107 બી એકનાળી હથિયારમાંથી એક રાઉન્ડ બ્લેન્ક કારતૂસ હવામાં ફાયર કર્યો હતો. જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યુંઆરોપી નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ (ઉંમર 53 વર્ષ, અણખી ગામ, મોટા વાંટા ફળીયું, તા. જંબુસર, જિ. ભરૂચ) GIFSS કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને હાલમાં વડોદરાના જી.એસ.ટી. સેવા કેન્દ્ર, કુબેરભ વન બીજા માળે, રાવપુરા ખાતે ફરજ બજાવે છે. તેણે જણાવ્યું કે વર્ષ 2004માં જંબુસરથી આ હથિયારનો પરવાનો મેળવ્યો હતો. આરોપીએ પોતાની નોકરી પૂરી કર્યા બાદ દાંડીયાબજાર તરફ જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યું છે. 'આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યું પણ પોલીસ એક જ કહે છે'આ ઘટનાને નજરે જોનાર સ્થાનિક મનીષાબેન કહારે જણાવ્યું હતું કે, તેઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને અચાનક શું થયું કે તેઓએ બંદૂક કાઢી ફાયરિંગ કર્યું હતું. તેઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, પરંતુ પોલીસ કહે છે એક રાઉન્ડ થયું છે, તે ફૂલ નશાની હાલતમાં હતા. મેં 112ને કોલ કર્યો તો મારી પર પણ હુમલો કર્યો હતો.
તાજેતરમાં જ અમદાવાદના ઘીકાંટા ખાતે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો મુદ્દો સામે આવ્યો હતો. રજીસ્ટ્રાર દ્વારા સત્તાનો ઉપયોગ કરી ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવા અંગેના આક્ષેપો વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને કલેકટરને પત્ર લખીને રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની અને અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણીની SIT દ્વારા તપાસ કરવાની એમ જ જો તેમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યપાલથી લઇ ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ રાજ્યપાલથી લઇ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, 03/03/2026ના રોજ અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવેલી સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં મુખ્ય રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એમ.એમ.સૈયદ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન કરાવતોમળતી માહિતી મુજબ મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેલા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કાર્ય સમય પહેલા વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે કચેરીનો નિયમિત કાર્ય સમય સવારે 11:00 વાગ્યાથી શરૂ થાય છે તેમછતાં એમ.એમ. સૈયદ સવારે અંદાજે 9:00 વાગ્યે કચેરીમાં હાજર રહી આ કાર્યવાહી હાથ ધરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની જાણ થતા ત્યાં હાજર કેટલાક વકીલો દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં હોબાળો પણ મચ્યો હતો. આ ઘટનાના કારણે સમાજમાં ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. અગાઉ પણ ગેરકાયદેસર લગ્ન નોંધણી થઈ હોવાની શંકાસરકારી અધિકારી તરીકે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત ગંભીર બાબત છે. આ ઘટના પરથી એવી શંકા પણ વ્યક્ત થાય છે કે, અગાઉ પણ આવા પ્રકારની ગેરરીતિથી કેટલાય કેસોમાં પરિવારજનોની લાગણીઓ અવગણીને ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોઈ શકે. ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરાયાની શંકા પણ વ્યક્ત કરાઈ આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, આ લગ્ન નોંધણી પ્રક્રિયા દરમિયાન વસીમ નામનો એક શખસ એમ.એમ.સૈયદની ઓફિસમાં હાજર હતો અને તેણે આ ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેથી તે વ્યક્તિ કોણ હતો, સરકારી કચેરીમાં તે કોની પરવાનગીથી હાજર હતો તેમજ શું તે સૈયદનો કોઈ વહીવટદાર કે સહયોગી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવે માંગણી કરી છે. વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને કાર્યવાહી માટે પત્ર લખાયોવિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યા છે. પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ, સરદાર પટેલ ગ્રુપ (SPG), અડતાલીસ કડવા પાટીદાર સમાજ (વઢીયાર વિભાગ), તેર ગામ લેઉવા પટેલ સમાજ (દહેગામ), શ્રી બાવીસી સંપ્રદાય મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ તેમજ કેળવણી મંડળ સહિતના સમાજ દ્વારા પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે. હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે કેટલીક માંગણીઓ કરવામાં આવી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યુટ-2024 માં સુધારા માટે એક સેમિનાર યોજાયો હતો. આ વર્કશોપમાં અધ્યાપકો અને આચાર્યો દ્વારા 70 જેટલા મહત્વના સુધારા સૂચવવામાં આવ્યા હતા, જે હવે સરકારને મોકલવામાં આવશે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રજીસ્ટ્રાર ડો. આર.એન. દેસાઈની અધ્યક્ષતામાં આ સેમિનારનું આયોજન થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિફોર્મ સ્ટેચ્યુટના અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનો અને સુઝાવ મેળવવાનો હતો. આ એક દિવસીય વર્કશોપમાં વિવિધ વિભાગોના વડા, ડીન, અધ્યાપકો, મેનેજમેન્ટ, બીઓએમ, વહીવટી સ્ટાફ, સંલગ્ન કોલેજોના આચાર્યો, વિદ્યાર્થી સંગઠનો અને સ્વૈચ્છિક મહાસંઘો સહિતના સ્ટેકહોલ્ડર્સ જોડાયા હતા. વર્કશોપમાં યુનિવર્સિટીના સુચારું સંચાલન માટે 70 જેટલા સુધારા સૂચવાયા હતા. રજૂ થયેલા સુધારાઓમાં સ્ટેચ્યુટ અને એક્ટમાં સત્તામંડળના સભ્યોની નિમણૂક અંગેની વિસંગતતા દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યુનિવર્સિટીમાં ઉપ કુલપતિ (પ્રો-વીસી) ની નવી જગ્યા ઊભી કરવા માટે પણ સુધારા રજૂ કરાયા હતા. અન્ય મહત્વના સુધારાઓમાં પરીક્ષા સંબંધિત નિયમો, સંલગ્ન કોલેજોના સંચાલન અને જીસીએસઆર (GCSAR) માં કર્મચારીઓ માટે રજાના નિયમોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, કર્મચારીઓ માટે 300 રજાના નિયમને બદલીને 240 કરવાનો અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો દ્વારા પણ વિવિધ સુધારા રજૂ કરવામાં આવ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવાયેલા આ તમામ સુધારા અને અસરકારક અમલીકરણ માટેના સૂચનો હવે સરકાર કક્ષાએ મોકલવામાં આવશે.
કાલોલના બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયો:ગોધરા સિવિલમાં સફળતાપૂર્વક બહાર કઢાયો, બાળકે રાહત અનુભવી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કંડાચ ગામમાં દોઢ વર્ષના બાળક બાબુ નાયકના નાકમાં મકાઈનો દાણો ફસાઈ ગયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સફળતાપૂર્વક દાણો બહાર કાઢ્યો. શૈલેષ નાયકનો પુત્ર બાબુ ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે તેના નાકમાં મકાઈનો દાણો ફસાયો હતો. શરૂઆતમાં પરિવારને આ ઘટનાની જાણ થઈ ન હતી. રાત્રે બાળક સૂવા ગયો ત્યારે દાણો નાકની વધુ અંદર ઉતરી ગયો. નાકમાં તકલીફ થતાં બાળકે રડવાનું શરૂ કર્યું. પરિવારજનોએ તપાસ કરતાં બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયેલો હોવાનું જાણવા મળ્યું. બાળકની ગંભીર હાલત જોઈને પરિવાર ચિંતિત બન્યો અને રાત્રે જ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયો. ગોધરા સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ભારે જહેમત બાદ દાણો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. દાણો નીકળી જતાં બાળકે રાહત અનુભવી હતી. પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ કોર્ટે કેદી ફરાર કેસમાં ચુકાદો આપ્યો:ઘંટીસિંગ અને 4 પોલીસકર્મી નિર્દોષ, તપાસમાં ગંભીર ખામીઓ
પાટણની જ્યુડિશિયલ કોર્ટે ધારપુર હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ઘંટીસિંગ નારસિંગ ખિચી અને જાપ્તામાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ ડો. હિરલબેન પી. જોશીએ પોલીસ તપાસમાં રહેલી ગંભીર ક્ષતિઓ અને પુરાવાના અભાવને ટાંકીને આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના જૂન-2023માં બની હતી. પાટણની સુજનીપુર જેલમાં બંધ આરોપી ઘંટીસિંગ ખિચીને 8 જૂન, 2023ના રોજ બીમારીની સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક્સ-રે રૂમ પાસેથી તે પોલીસની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ઘંટીસિંગ સહિત જાપ્તાના ચાર પોલીસ કર્મચારીઓ – એ.એસ.આઈ. અભેરામ, હેડ કોન્સ્ટેબલ અમૃતજી, લોકરક્ષક હરેશભાઈ અને કોન્સ્ટેબલ અભેસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ તરફે એડવોકેટ શૈલેષ એમ. સોલંકી, આર.એસ. વણકર અને જે.સી. ઠાકોરે કોર્ટમાં રજૂઆતો કરી હતી. કોર્ટે પોતાના 47 પાનાના ચુકાદામાં તપાસ અધિકારીઓની ભારે બેદરકારી નોંધી હતી. તપાસ અધિકારીઓ આરોપી ઘંટીસિંગ અગાઉ કયા ગુના હેઠળ જેલમાં હતો તેની પ્રાથમિક માહિતી પણ કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા. ઉપરાંત, તપાસ દરમિયાન હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા નહોતા અને પંચ સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું નહોતું. કોર્ટના અવલોકન મુજબ, આરોપી નાસી ગયો ત્યારે તેની કસ્ટડી એ.એસ.આઈ. અભેસિંગ પાસે નહોતી, જે ઉલટતપાસમાં સ્પષ્ટ થયું હતું. જેલના નિયમોના ઉલ્લંઘનની બાબત પણ સામે આવી હતી. સુજનીપુર જેલના હવાલદારની જુબાની મુજબ, પાંચ આરોપીઓ માટે પાંચ પીએસઆઈના જાપ્તાની માગણી કરાઈ હતી, પરંતુ પીએસઆઈ વગર જ કેદીઓને મોકલી દેવાયા હતા. નિયમ મુજબ, જો માગ્યા મુજબનો જાપ્તો ન હોય તો કેદીઓને સોંપી શકાય નહીં, તેમ છતાં આ કિસ્સામાં અપૂરતા જાપ્તા સાથે આરોપીઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ તમામ ટેકનિકલ ખામીઓ અને તપાસમાં રહેલી ક્ષતિઓને ધ્યાને રાખી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મલેકપુર પાસે બે બાઈક અથડાયા, એક યુવક ગંભીર:પ્રાથમિક સારવાર બાદ વડોદરા રિફર કરાયો
મલેકપુર નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અશ્વિન નાયક નામનો યુવક 'ચાવડીબાઈ ના મુવાડા' થી 'મલેકપુર' તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગમાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અશ્વિન નાયકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લુણાવાડા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી તબીબોની સલાહ બાદ તેને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો છે.
1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો:વાંકાનેર નજીકથી એકની ધરપકડ, 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લા એલસીબીએ રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 1.93 કરોડથી વધુનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઇ એમ.પી. પંડ્યાને મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા-રાજકોટ હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે ટ્રક નંબર RJ 14 GP 4506 ને રોકવામાં આવતા તેમાંથી 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1,93,47,360 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, રૂ. 25 લાખની કિંમતનું વાહન, રૂ. 3200 રોકડા અને રૂ. 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,18,55,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાનના ઝહેરાઝ ગામના લલિતકુમાર પ્રતાપજી ખરાડીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, મંગાવનાર અને વાહનના માલિક સહિત તપાસમાં જેમના નામ ખુલે તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વલસાડમાં સમાધાન બેઠકમાં જ ધીંગાણું:એવરસન ટાવરમાં બે પરિવાર વચ્ચે મારામારી, બંને પક્ષે ફરિયાદ
વલસાડ શહેરના બંદર રોડ પર આવેલા એવરસન ટાવર એપાર્ટમેન્ટમાં સમાધાન બેઠક દરમિયાન બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જૂના વિવાદના સમાધાન માટે બોલાવવામાં આવેલી આ બેઠક ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી, જેના કારણે છૂટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. ઘટનામાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એપાર્ટમેન્ટમાં રહેતા બે મુસ્લિમ પરિવારો વચ્ચે લાંબા સમયથી કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હતો. આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે ગત રોજ બંને પક્ષના સભ્યો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. શરૂઆતમાં ચર્ચા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. જોકે, થોડા સમય બાદ બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી દરમિયાન વાત એટલી હદે વણસી ગઈ કે બંને પક્ષના સભ્યો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ. રહેણાક એપાર્ટમેન્ટમાં અચાનક સર્જાયેલી આ અથડામણને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષના ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડી તેમની સારવાર કરાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બંને પક્ષોની કેફિયતના આધારે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાનવા પાસે પીકઅપ વાહનમાં ભીષણ આગ:ગાડી બળીને ખાખ, ડ્રાઇવર સહિત બેનો આબાદ બચાવ
દસાડા તાલુકાના પાનવા ગામ નજીક એક પીકઅપ વાહનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું, જોકે ડ્રાઇવર સહિત બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના રાત્રે નવથી સાડા નવ વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ચાલુ ગાડીમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. વાહન સમીથી દસાડા તરફ જીરાનું ભૂસું ભરીને જઈ રહ્યું હતું. વાહનમાં સવાર વ્યક્તિઓમાં ઠાકોર નરેશભાઈ સેમા અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. તેઓ દસાડા તાલુકાના સલી ઝાડીયાણા ગામના વતની છે. આગની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દસાડા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્લાઈમેટ ચેન્જ : માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ને પાર
- ગ્લોબલ વોર્મિંગને પગલે આ વખતે શિયાળો ખાસ અનુભવાયો જ નહીં અને ઉનાળો પહેલેથી જ આકરો શરૂ થયો છે, આગામી સમય વધારે કપરો રહેવાની ભીતી આ વખતે નવેમ્બર 2025થી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી. તેના કારણે ઠંડક લાંબો સમય ટકી નહીં અને ગરમી શરૂ થતાં જ આકરી થવા લાગી. આ વખતે માર્ચ મહિનાથી અહીંયા સાવ ગરમ અને શુષ્ક હવા ચાલી રહી છે. આ હવા રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય કેટલાક ભાગમાં ગરમીમાં સતત વધારો કરી રહી છે : ગુજરાતના વલ્લભવિદ્યાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, સુરત અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું.
તાલુકાના નારણપર ગામના ખેડૂતને જીઓ કંપનીના ચાર ટાવર નાખી મહીને રૂપિયા 30 થી 35 હજાર ભાડું આપવાની લાલચ આપી આરોપીઓએ રૂપિયા 6.47 કરોડ પડાવી દીધા હતા. જે મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોધાયા બાદ એક આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2023માં સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ઠગાઈનો ગુનો નોધાયો હતો. જેનો ભેદ ઉકેલી લેવા સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન ભુજના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.હુંબલના માર્ગદર્શન હેઠળ આરોપીઓને તાત્કાલિક પકડવા સુચના આપી હતી. પોલીસે તપાસ દરમિયાન બેંક ખાતાના ઝીણવટભર્યા અભ્યાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામેના આરોપી અજય અખિલેશકુમાર પાંડે અન્ય વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ મેળવી નાણાંકીય વ્યવહારો કરતો હોવાની હકિકત સામે આવી હતી . જેથી પીઆઈ કે.સી.રાઠોડ સહીતની ટીમ ઉત્તરપ્રદેશ ખાતે પહોચી હતી. અને સ્થાનિક પોલીસની સાથે રહી આરોપીને અંતરિયાળ ગામ સુરહુરપુર, જિ.આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ ખાતેથી ટ્રેક કરી ઘેરાબંધી કરીને ઝડપી લીધો હતો. જે બાદ આરોપીને આંબેડકરનગર કોર્ટ સમક્ષ રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આગળની તપાસ અર્થે ભુજ લઇ આવી રિમાન્ડ હેઠળ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે,આરોપીઓએ નારાણપરના ખેડૂતને જીઓ કંપનીના ચાર ટાવર લગાડવાનું કહી આરોપીઓએ અલગ અલગ બહાને રૂપિયા 6.47 કરોડ પડાવી લીધા હતા . ઠગાઈના રૂપિયામાંથી 2 કરોડથી વધુ રૂપિયા આરોપીના પિતાના ખાતામાં જમા થયેલા હતા જે બેંક ખાતામાં આરોપીનો મોબાઈલ નંબર આપેલો હતો.આરોપીના રિમાન્ડ દરમિયાન મુખ્યસુત્રધાર સુધી પહોચવાની કડીઓ જોડાશે.
દેશમાં ગેસ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જબરદસ્ત અછત વચ્ચે હવે ઘરેલું ગેસ સિલિન્ડરના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે અમદાવાદી ગૃહિણીઓને જઈને પૂછ્યું કે જો ગેસ સપ્લાય કે ગેસના બાટલા નહીં મળે તો શું કરશો. તો આવો જાણીએ ગુજ્જુ ગૃહિણીઓએ શું-શું કહ્યું…
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. આગામી 14 માર્ચે ધો.12 આર્ટ્સમાં સામાજિક વિજ્ઞાનનું તથા 16 માર્ચે 12 સાયન્સમાં બાયોલોજી, 12 કોમર્સમાં 17 માર્ચે એકાઉન્ટનું પેપર છે. આ બોર્ડ પરીક્ષાને લઈ દિવ્ય ભાસ્કર મેઇન પેપરમાં અંતિમ ઘડીઓમાં કેવી રીતે તૈયારીઓ કરવી તેની એક્સપર્ટ્સ ટિપ્સ જણાવી રહ્યું છે. બાયોલોજીમાં MCQ બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના જવાબ લખોબોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં બાયોલોજીનું પેપર દર વર્ષે વિદ્યાર્થીઓને લાંબુ લાગે છે. જોકે તે માટે વિદ્યાર્થીઓએ MCQનો પ્રથમ વિભાગ પૂર્ણ કર્યા બાદ અનુક્રમે 2,3 અને 4 માર્કના સવાલોના જવાબો લખવા જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આ પેપરમાં આકૃતિ દોરવામાં વધુ સમય ન બગાડે અન્યથા પેપર અધૂરું રહી જશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ પેપર લખશે તો તેઓ સમયસર પેપર પૂર્ણ કરી શકશે અને તેનાથી માર્ક પણ વધુ આવશે. જો આ ભૂલ કરી તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જશેઆ અંગે રાજકોટની પ્રીમિયર સ્કૂલના ડાયરેક્ટર નેહા દેસાઈએ જણાવ્યું હતું કે, બાયોલોજીનુ પેપર થિયરીનું હોવાથી લાંબુ લાગે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ 4 માર્કના સવાલો પહેલા લખવાની ભૂલ કરતા હોય છે. જો વિદ્યાર્થીઓ આ ભૂલ કરશે તો બાયોલોજીનું પેપર અધૂરું રહી જવાની પૂરેપૂરી શક્યતા છે. 2 માર્કના સવાલો પહેલા લખે તો 40 મિનિટમાં પૂરું થઈ જાય છે. બીજી 40 મિનિટમાં 3 માર્કના સવાલોના જવાબો લખે અને છેલ્લે 4 માર્કના સવાલોના જવાબો લખે. જેથી પેપર સમયસર પૂર્ણ થઈ જશે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું તો પાસ આ ઉપરાંત બાયોલોજીમાં ફિગર્સ આવે. જેથી વિદ્યાર્થીઓને એમ થાય કે હું આર્ટિસ્ટિક ફિગર્સ ડ્રો કરું. જોકે ફિગરના એક સવાલમાં અડધોથી એક માર્ક હોય છે. જેથી ફિગર ડ્રો કરવામાં વધુ સમય ન લગાડવો. બાયોલોજીના પેપરમાં 5 યુનિટ આવે છે. જેમાં યુનિટ 2 સૌથી અઘરું છે. નબળા વિદ્યાર્થીઓએ જો યુનિટ 3,4 અને 5 કર્યું હોય તો પાસ થઈ જાય. જેનાથી થોડા હોશિયાર વિદ્યાર્થીઓ યુનિટ 1,3,4 અને 5 કરે. જ્યારે જે વિદ્યાર્થીઓ સૌથી હોશિયાર છે તેમને જ 13 ચેપ્ટરના પાંચ યુનિટ કરવા જોઈએ. ફિઝિક્સનું સાટું વાળી દેશો તો NEET આપી શકશોતેમણે જણાવ્યું હતું કે, B ગ્રૂપના વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આવે છે. જેમનું મેથ્સ નબળું હોય તેઓએ બી ગ્રુપ લીધું હોય છે. NEETમાં બોર્ડના માર્કની 50% એલિજીબિલિટી છે. વિદ્યાર્થીઓ મહેનત કરે તો બાયોલોજીમાં 100માંથી 75થી વધુ માર્ક આરામથી આવી જાય તેમ છે. જેથી ફિઝિક્સનું પેપર કદાચ નબળું ગયું હોય તો બાયોલોજીના માર્કના લીધે મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા આપી શકે. પહેલા બાયોલોજીનું પેપર ત્રણ માર્ચે રાખવામાં આવ્યું હતું. પરંતુ હોળી અને ધુળેટીના તહેવારોના કારણે આ પેપર 16 માર્ચે લેવામાં આવનાર છે. જેથી વિદ્યાર્થીઓને વાંચવાના વધુ દિવસો મળતા તૈયારીમાં તાકાત લગાવી દેવી જોઈએ. એકાઉન્ટમાં આ દાખલાઓ બ્રહ્માસ્ત્ર સાબિત થશેજ્યારે ધો.12 કોમર્સના એકાઉન્ટના પેપર અંગે વડોદરાના એક્સપર્ટ જીગર દરજીએ જણાવ્યું હતું કે, અંતિમ ઘડીમાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે કોઈ નવા અખતરાઓ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણી ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જ જોઈ લો એ જ તમારા માટે બ્રહ્માસ્ત્રનું કામ કરશે. અન્ય બહારના કોઈ પેપર સેટ હોય તેની પાછળ કોઈ પણ પ્રકારની મહેનત અંતિમ સમયમાં ન કરો, કારણ કે કેટલીક વખત એ ગેરમાર્ગે દોરે છે. MCQ અને શોર્ટ પ્રશ્નો પાછળ મહેનત કરી લોવધુમાં કહ્યું કે,વિભાગ-D ની વાત કરીએ તો એમાં તમારે ફક્ત પાઘડીનું ચેપ્ટર જોઈ લો, એમાં તમારા બે દાખલા કવર થઈ જશે અને બીજા ભાગમાંથી છેલ્લા ત્રણમાંથી કોઈ એક જ ચેપ્ટર જોઈ લો તો તમારા 12માંથી 12 તમારે ત્યાં રોકડા મળી જશે. સાથે MCQ આપણી પાસે અવેલેબલ છે, તો 20 માર્ક્સના MCQ છે અને 10 માર્ક્સના શોર્ટ પ્રશ્નો છે, એની પાછળ મહેનત થઈ શકે છે. મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજોઆ વખત માટે ખાસ, ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિના જો દાખલાની વાત કરીએ તો એમાં મૂડીને લગતા હવાલા સોલ્વ ખાસ કરજો, એના સંદર્ભે દાખલા આવવાની શક્યતા 100 ટકા છે. તમારું કામ એક જ છે કે પેપર પર પૂરેપૂરું ધ્યાન આપો. અંતિમ પેપર છે એટલે મહાભારતમાં કહ્યા પ્રમાણે-કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મ ફલહેતુ ર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ.તમારું કામ કર્મ કરવાનું છે, ફળ તમને તમારી કાર્યક્ષમતા પર મળી જ જવાનું છે. સામાજિક વિજ્ઞાનમાં MCQ-ખાલી જગ્યા માટે ટેક્સ્ટબુક કરી લોધો.12 આર્ટસના સામાજિક વિજ્ઞાન અંગે એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં 32 વર્ષથી સામાજિક વિજ્ઞાન વિષય ભણાવી રહેલા જયંતી ભરવાડે જણાવ્યું કે, સૌપ્રથમ તેઓ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની રચના સમજાવે છે. બોર્ડ પરીક્ષામાં કુલ ચાર વિભાગ A, B, C અને D હોય છે. વિભાગ A કુલ 24 ગુણનો હોય છે. આ વિભાગ સામાન્ય રીતે MCQ, ખાલી જગ્યા, જોડકાં મિલાવો અથવા ખૂબ ટૂંકા જવાબવાળા પ્રશ્નોનો સમાવેશ કરે છે. વિદ્યાર્થીઓએ આ વિભાગ માટે સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું ધ્યાનપૂર્વક પુનરાવર્તન કરવું જોઈએ, કારણ કે નાનામાં નાની વિગતો પણ અહીંથી પૂછાઈ શકે છે. વિભાગ B 18 ગુણનો હોય છે, જેમાં 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. અહીં વિદ્યાર્થીઓને વિકલ્પ મળે છે, પરંતુ યોગ્ય પસંદગી કરવી અગત્યની છે. જે પ્રશ્નો સારી રીતે આવડે છે અને સ્પષ્ટ રીતે સમજાવી શકાય તે જ લખવા. અનાવશ્યક જોખમ લેવાને બદલે સ્પષ્ટતા અને ચોકસાઈ રાખવી વધુ સારું. લાંબો જવાબ મુદ્દાઓમાં વહેંચવોવિભાગ Cમાં 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના જવાબ આપવા પડે છે. આ વિભાગમાં સામાન્ય રીતે ટૂંકા પરંતુ મુદ્દાસર જવાબોની માંગ હોય છે. વિદ્યાર્થીઓએ મુદ્દા પાડી, ગોઠવણપૂર્વક અને સ્પષ્ટ ભાષામાં જવાબ લખવા જોઈએ. જો જવાબ લાંબો બને તો પણ તેને મુદ્દાઓમાં વહેંચવાથી પરીક્ષકને સમજવામાં સરળતા રહે છે. નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના ખાસ કરીને પ્રકરણ 8, 9,10 અને 13માંથી નકશા આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના વધુ હોય છે. તેથી વિદ્યાર્થીઓએ ભારત અને વિશ્વના નકશામાં મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, કૃષિ પાક ક્ષેત્રો વગેરેનું સચોટ નિદર્શન કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવોતેઓએ ખાસ કરીને ચિત્ર આધારિત પ્રશ્નો પર ભાર મૂકે છે. તેઓ જણાવે છે કે MCQ અને લાંબા પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકમાં આપેલા ચિત્રો પરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉદાહરણ તરીકે, રંગલો-રંગલીના પાત્રો કઈ લોકકલાથી સંબંધિત છે? તેનો જવાબ ‘ભવાઈ’ છે. આવા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના તમામ ચિત્રો, ચાર્ટ અને કોષ્ટકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ લખાણ વાંચે છે. પરંતુ ચિત્રો અવગણે છે, જેનાથી સરળ ગુણ ગુમાવવાનો વારો આવે છે. ટૂંક નોંધની તૈયારી અંગે તેઓ ખાસ સૂચન આપે છે. ઘણા પ્રશ્નો સીધા પુસ્તક મુજબ નહીં, પરંતુ થોડા ફેરફાર સાથે પૂછવામાં આવે છે. જેમ કે દુનિયાની સાત અજાયબીઓમાંની એક વિશે જણાવો એવો પ્રશ્ન આવી શકે છે, જેમાં ‘તાજમહેલ’ વિશે ટૂંકમાં માહિતી આપવાની હોય છે. તેથી વિદ્યાર્થીઓએ દરેક મહત્વના વિષય પર 4-5 મુદ્દાની ટૂંક નોંધ તૈયાર રાખવી જોઈએ. કૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરીકૃષિ પાક સંબંધિત પ્રશ્નો માટે પણ યોગ્ય તૈયારી જરૂરી છે. ડાંગર, મગફળી, ઘઉં, કપાસ જેવા મુખ્ય પાકોની આબોહવા, જમીનની જાત, જરૂરી વરસાદ અને ઉત્પાદન પ્રદેશો વિશે સ્પષ્ટ સમજ હોવી જોઈએ. આવા પ્રશ્નો ઘણીવાર લાંબા ઉત્તર કે ટૂંક નોંધ રૂપે પૂછાય છે. જો વિદ્યાર્થીઓ મુદ્દાવાર તૈયારી કરે તો તેઓ સરળતાથી સંપૂર્ણ ગુણ મેળવી શકે છે. 10, 5 અને 17 પ્રકરણમાંથી 6 પ્રશ્નો પૂછાઈ શકેવિભાગ D માટે તેઓ ખાસ કરીને પ્રકરણ 10, 5 અને 17ને મહત્વપૂર્ણ ગણાવે છે. આ પ્રકરણોમાંથી આશરે 6 જેટલા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહે છે. તેથી આ પ્રકરણોનું પુનરાવર્તન વારંવાર કરવું, મહત્વના મુદ્દાઓ હાઇલાઇટ કરવું અને શક્ય પ્રશ્નોની યાદી બનાવી પ્રેક્ટિસ કરવી લાભદાયી છે. અંતમાં, તેઓ પેપર પ્રેઝન્ટેશન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપે છે. દરેક પ્રશ્નનો જવાબ મુદ્દા પાડીને લખવો જોઈએ. ગોઠવણ, સ્પષ્ટ લખાણ અને યોગ્ય શીર્ષકોનો ઉપયોગ ગુણ વધારવામાં મદદ કરે છે. નવો પ્રશ્ન હંમેશા નવા પાના પર શરૂ કરવો જોઈએ. આ રીતે પરીક્ષકને જવાબો તપાસવામાં સરળતા રહે છે અને ગુણ આપવામાં અનુકૂળતા થાય છે. જવાબો વચ્ચે યોગ્ય અંતર રાખવું, જરૂરી હોય ત્યાં અંડરલાઇન કરવું અને ગંદું લખાણ ટાળવું,આ બધી બાબતો સારા પ્રેઝન્ટેશનનો ભાગ છે.
ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઇ ગયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની બોટલો મળતી નથી અને મળે તો કાળા બજારમાં 3થી 4 હજાર રૂપિયામાં મળે છે. જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ના મળતા ધંધો બંધ કરવો પડ્યો છે. તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ વાર લાગતી હોવાથી ધંધો ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેને કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે. '10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું?'વેપારી અરવિંદભાઈ મહતોએ જણાવ્યું હતું કે, મારી ઓમલેટની લારી છે સાહેબ, અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. તેના કારણે મારી લારી બંધ થઈ ગઈ છે. મારી આ લારી પર મારો 5 સભ્યોનો પરિવાર નભે છે. અત્યારે લારી બંધ હોવાથી મારા બાળકોના ભણતર અને ઘરનો ખર્ચ ક્યાંથી કાઢીશ? સાહેબ, અત્યારે બહુ તકલીફ છે. જો 10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું? 10-15 દિવસ સુધી બોટલ નહીં મળે. જો આટલા દિવસ કામ નહીં મળે તો અમે શું ખાઈશું? મારી પાસે અત્યારે બીજો કોઈ ધંધો નથી અને બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. '30 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે'તેઓએ કહ્યું કે, લગભગ 30 વર્ષથી ચલાવું છું પણ આવું પહેલીવાર બન્યું છે. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ગેસ મળી રહે, જેથી અમારો ધંધો ચાલુ થાય અને મારા પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરી શકાય. અત્યારે બહુ તકલીફ છે. મારે રોજનો 200 રૂપિયા જેટલો ખર્ચ તો ચા-પાણી અને બાળકોના સ્કૂલ-રીક્ષા ભાડામાં જ થાય છે. એ બધું ક્યાંથી કાઢવું? મારો પૂરો પરિવાર આના પર જ નિર્ભર છે. આજે લારી બંધ છે તો અમને ખાવા-પીવાની પણ તકલીફ પડી રહી છે. 'પહેલા એક કલાકમાં 20 ઓર્ડર નીકળતા હવે 5 ઓર્ડર માંડ નીકળે છે'વેપારી મયુર માછીએ જણાવ્યું હતું કે, સાહેબ બહુ જ તકલીફ પડી રહી છે. અમે ગરીબ માણસ છીએ. દિવસનો માંડ 1000-2000નો ધંધો થાય છે અને એમાં અમારે ઘર ચલાવવાનું હોય છે. દુકાનનું 5000 રૂપિયા તો ભાડું આપવાનું હોય છે. હવે અત્યારે ગેસના બોટલ મળતા નથી એટલે મજબૂરીમાં અમારે લાકડા અને કોલસાના ચૂલા પર ધંધો કરવો પડે છે. પહેલાં 2000-3000 રૂપિયાની ઘરાકી રહેતી હતી પણ અત્યારે ધંધો સાવ ઠપ થઈ ગયો છે. 'હું બોટલ લેવા ગયો ત્યારે મને 4500 ભાવ કહેવામાં આવ્યો'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હાલત બહુ ખરાબ છે. ઘરનું 7000 રૂપિયા જેવું ભાડું ચડી ગયું છે. એક લાખ રૂપિયાની લોન ચાલી રહી છે, જેના હપ્તા પણ બાઉન્સ થઈ રહ્યા છે. ગેસની આ કન્ડિશનને કારણે ફેમિલી ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે. હું જ્યારે બોટલ લેવા ગયો ત્યારે મને 4500 રૂપિયા જેવો ભાવ કહેવામાં આવ્યો હતો. બ્લેકમાં પણ ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવે છે. અત્યારે જો અમે બુકિંગ કરાવીએ તો પણ 1800-2000 રૂપિયા જેવો ભાવ માંગે છે. આટલા મોંઘા ભાવે બોટલ લઈને ધંધો કરવો અમારા જેવા નાના વેપારીઓ માટે શક્ય નથી. 'અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ'વેપારી યશકુમારે જણાવ્યું હતું કે, હવે શું કરીએ ભાઈ ગેસ સિલિન્ડર મળતા નથી, બ્લેકમાં મળવાનું પણ બંધ થઈ ગયું છે અને કોમર્શિયલ પણ નથી મળતા એટલે અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ. બહુ જ મુશ્કેલી પડે છે. કામ બહુ ધીમે થાય છે. પહેલા જેવો ધંધો થતો હતો, એના કરતા અત્યારે ઘણો ઓછો ધંધો થાય છે. ધંધામાં બહુ મોટી અસર પડી છે. ગેસ કરતા ચૂલામાં સમય ઘણો વધારે લાગે છે. જે કામ ગેસ પર 5-10 મિનિટમાં થઈ જતું હતું, એમાં હવે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે. ઘણા ગ્રાહકો રાહ નથી જોતા અને આગળ નીકળી જાય છે. અત્યારે તો અમે આ ચૂલો ચાલુ કર્યો છે પણ ધીમે-ધીમે આ લાઈનમાં બધાએ જ આવું કરવું પડશે કારણ કે, બોટલ તો ખતમ થઈ જશે. અમારી પાસે જે હતા એ પૂરા થઈ ગયા છે અને નવા મળતા નથી. 'ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે'વેપારી ઉપેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યારે તો બહુ જ તકલીફ છે, પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે ધંધો બંધ કરવો પડે એમ છે. અત્યારે મારી પાસે એક પણ ગેસની બોટલ નથી. હું અત્યારે ગેસની બોટલ જ શોધી રહ્યો છું. જો ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે. અત્યારે તો એ જ વિચારી રહ્યા છીએ કે આગળ શું કરવું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી આ તકલીફ છે. અમે બોટલ લેવા ગયા હતા પણ એમણે સાફ ના પાડી દીધી છે કે, અત્યારે કોમર્શિયલ ગેસ મળી રહ્યો નથી. કાળા બજારમાં પણ ક્યાંય ગેસ મળતો નથી. અમારી તો એક જ માંગણી છે કે વહેલી તકે ગેસના બોટલની વ્યવસ્થા કરવામાં આવે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો અમારો ધંધો બંધ થઈ જશે. મારા પરિવારમાં ચાર સભ્યો છે અને આખો પરિવાર આ ધંધા પર જ નભે છે. આ ઉપરાંત, મારી સાથે કામ કરતા ચાર માણસોની રોજીરોટી પણ આના પર જ આધારિત છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જો એ બંધ થાય તો જ ગેસની સપ્લાય સરખી થાય એવું લાગે છે, બાકી તો શું થઈ શકે? રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે માત્ર 2 જ શાકના વિકલ્પ ગુજરાતમાં હાલમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપને કારણે એલપીજી (ગેસ સિલિન્ડર)ની સપ્લાયમાં તંગી જોવા મળી રહી છે. ઘણા એજન્ટો કહી રહ્યા છે કે બાટલાની ટ્રકો આવી રહી નથી, જેથી બુકિંગ થતી નથી અને ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા મુખ્યત્વે કોમર્શિયલ સિલિન્ડરોને અસર કરી રહી છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે હવે માત્ર 2 જ શાકના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ઓપરેશન્સ પણ અટકી ગયા છે. તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છેબીજી તરફ, ઘરગથ્થુ ઉપયોગ માટે સરકારે ઔદ્યોગિક ગેસનું 50% કાપ કરીને પ્રાથમિકતા આપી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા બુકિંગ વચ્ચેનો ગેપ 25 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે, જેથી ઇલેક્ટ્રોનિક દુકાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને સેલ્સમાં અચાનક ધમાકો થયો છે. જોકે, પેટ્રોલ પંપ પર કોઈ હાડમારી કે લાંબી કતારો જોવા મળી રહી નથી કારણ કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય હજુ સ્થિર છે અને ફક્ત અફવાઓથી કેટલીક જગ્યાએ અસ્થાયી રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ વધુ પ્રોડક્શન અને વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં ઘરેલુ રસોડાઓમાં ચિંતા વધી રહી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે તમે મહિનાઓથી સાત સમુદ્ર પાર ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હો અને ત્યાં પહોંચીને તમારો ઉત્સાહ અને ઉમંગ જીવના જોખમ અને આર્થિક તંગીમાં ફેરવાઇ જાય તો…? આવું જ કંઇક અમદાવાદના દંપતી કમલેશભાઇ વાળંદ અને ગીતાબેન સાથે બન્યું છે. તેઓ હોંશે હોંશે દુબઇ ફરવા માટે તો ગયા પણ જ્યારે ભારત પાછું આવવાનું હતું ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુબઇનું એરપોર્ટ બંધ થઇ ગયું. ભયાનક પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા દંપતી પાસે નહોતા રહેવાના પૈસા કે નહોતી ખાવાની સગવડ. બીજી બાજું હોટલના ભાડા વધ્યાં અને ટ્રાવેલ એજન્સીએ હાથ ઊંચા કરી દીધા. ભૂખ, તરસ અને બ્લાસ્ટના અવાજો વચ્ચે ફસાયેલા આ ગુજરાતી પરિવારની વ્હારે અબુધાબીનું BAPS મંદિર અને બ્રહ્મવિહારી સ્વામી આવ્યા. વાંચો પારકા દેશમાં કેવી રીતે માનવતા અને સંસ્થાના સહયોગથી એક દંપતી હેમખેમ અમદાવાદ પરત પહોંચ્યું? 6 મહિના પહેલાં પ્લાનિંગ કર્યુંકમલેશભાઇ અને તેમના પત્નીએ 6 મહિના પહેલાં વિદેશ ફરવા જવાનું નક્કી કર્યું હતું. લાંબી ચર્ચા વિચારણા બાદ તેમણે દુબઇ જવાનું પસંદ કર્યું. જેના પછી દુબઇના પેકેજ વિશે 2-3 જગ્યાએ તપાસ કરી. જે દરમિયાન તેમને જાણવા મળ્યું કે રાજ ટ્રાવેલ્સમાં સારું પેકેજ છે એટલે તેમણે ત્યાં જ પેકેજ બુક કરાવ્યું હતું. દુબઇમાં બીજા 30 લોકોનો સાથ મળ્યોઆ દંપતી એક અઠવાડિયાની ટ્રિપ માટે 23મી ફેબ્રુઆરીએ અમદાવાદથી દુબઇ જવા નીકળ્યું હતું. અહીંથી ગયા ત્યારે પતિ-પત્ની બે એકલા જ હતા. લગભગ સાંજના સમયે તો તેઓ દુબઇ પહોંચી ગયા હતા. દંપતી જ્યારે દુબઇ એરપોર્ટથી મીના બજારમાં આવેલી હોટલમાં પહોંચ્યું ત્યારે તેમની સાથે અન્ય 30 લોકો પણ હતા. અહીં બધાને રાતના સમયે ક્રૂઝથી માંડીને સાઇટ સીન પર લઇ જવાયા હતા. છેલ્લા દિવસે જ્યાં દર્શન કર્યાં ત્યાંથી જ મદદ મળીટ્રિપના છેલ્લા દિવસે બધા અબુધાબીમાં BAPS મંદિરે ગયા અને ત્યાં દર્શન કર્યાં હતા. અહીં સુધી તો બધું સારૂં અને આનંદદાયક રહ્યું પણ ખરી મુશ્કેલી હવે શરૂ થવાની હતી. કાર રોકીને કહ્યું એરપોર્ટ બંધ છેકમલેશભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ભારત પાછા આવવા માટે જ્યારે અમે હોટલથી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે અત્યાર સુધી દુબઇમાં વિતાવેલા દિવસોની ખુશી અને ઉત્સાહ ચિંતામાં ફેરવાઇ ગયો. કેમ કે એરપોર્ટ પર અમારી કાર રોકીને કહેવામાં આવ્યું કે અહીં યુદ્ધના એંધાણ છે જેથી એરપોર્ટ બંધ કરાયું છે. દંપતી હોટલ પર પાછું ગયુંએરપોર્ટ બંધ થઇ જતાં આ દંપતી હવે આગળ શું કરવું તેની મૂંઝવણમાં મૂકાયું. તેમણે જણાવ્યું કે, આવા સમયે વિચાર આવવા લાગ્યો કે એક બાજુ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. બીજીતરફ એટલા પૈસા પણ નથી આવામાં જવું ક્યાં? જો અહીં અધવચ્ચે ઉતરી જઇશું તો ક્યાં રહીશું? જે હોટલમાં રોકાયા હતા ત્યાં સુધી પાછા કેવી રીતે પહોંચીશું? એટલે અમે કારવાળા ડ્રાઇવરભાઇને કહ્યું કે અમને પાછા એ જ હોટલ પર ઉતારી દો. પાણીની એક બોટલના 125 રૂપિયાકમલેશભાઇ અને ગીતાબેન જ્યારે હોટલ પર પાછા પહોંચ્યા ત્યારે હોટલે ભાડું પણ વધારી દીધું હતું. તેઓ કહે છે કે, અમે હોટલ પર પહોંચ્યાં અને વાત કરી તો હોટલવાળાએ ભાડામાં વધારો કરી દીધો હતો. હોટલવાળા દિવસ દરમિયાન 2 જ બોટલ પાણી આપતાં હતા. એ પછી વધારે પાણી જોઇએ તો 5 દિરહામ (અંદાજે 125 રૂપિયા) ચૂકવવા પડતાં હતા.બીજીતરફ રાજ ટૂરે પણ એવું કહ્યું કે તમારી ટ્રીપ અહીંયા પૂરી થઇ ગઇ છે અને ફ્લાઇટની ટીકિટના પૈસા જ્યારે તમે પાછા આવશો ત્યારે તમને પરત કરી દઇશું. બાકી તમારી રીતે તમને જ્યાં સસ્તું લાગે ત્યાં રહો અને જમો. આવી સ્થિતિમાં તેમની પાસે પૈસા ખૂટી પડ્યાં હતા. ગ્રુપના બાકીના લોકોએ તેમના માટે 2 દિવસ સુધી હોટલ બૂકિંગથી લઇને ભોજન સુધીની વ્યવસ્થા કરી દીધી. જો કે તેમને એવું પણ કહ્યું કે બાકીના દિવસની વ્યવસ્થા તમે કરી લેજો. ભારત પાછા આવવાની કોઇ આશા નહોતીવાતને આગળ વધારતાં કમલેશભાઇએ કહ્યું, આવા સમયે અમારા એક દૂરના સંબંધીને વાત કરીને તેમની પાસે પણ મદદ માગી. મેં કહ્યું કે જ્યારે હું ભારત પરત ફરીશ એ પછી તમને પૈસા પાછા આપી દઇશ એટલે તેમણે બાકીના 2-3 દિવસની સગવડ કરી આપી. આમ કરતાં-કરતાં અમારા ચારેક દિવસ તો જેમ-તેમ કરીને નીકળી ગયા પણ હજી સુધી ભારત ક્યારે પરત ફરીશું તેની કોઇ આશા દેખાતી નહોતી. બીજીવાર કોઇની પાસે કેવી રીતે હાથ લંબાવવો તેની પણ મનમાં સતત ચિંતા ચાલતી હતી. ગળામાંથી એક કોળિયો પણ નહોતો ઉતરતો કે ન તો પાણી પીવું ગમતું હતું કેમ કે અમારી પાસે દુબઇનું નાણું જ નહોતું બચ્યું. માત્ર ભારતના પાંચેક હજાર રૂપિયા જ બચ્યાં હતા. સવાર-સાંજ ધડાકા સંભળાતાદુબઇ ટૂર દરમિયાનના અનુભવો અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે વાત કરતાં કમલેશભાઇએ કહ્યું, અમને રોજ સવાર-સાંજ ધડાકા સંભળાતા હતા. જેવો ઘડાકાનો અવાજ સંભળાય એટલે અમે ટેન્શનમાં આવી જતાં હતા. જો કદાચ અમારા પર મિસાઇલ પડશે તો શું થશે? તેવો વિચાર આવતો હતો. 'રાતના સમયે ફોનમાં મેસેજ આવતાં એટલે હોટલના રૂમમાંથી બહાર નીકળીને હું નીચે પૂછવા જતો કે આ મેસેજ શેના આવી રહ્યાં છે? ત્યારે ત્યાંનો સ્ટાફ કહેતો કે અહીં જે પરિસ્થિતિ છે તે જોતાં સૂચના અપાઇ રહી છે કે તમે જે પણ મકાનમાં હો ત્યાંથી બહાર નીકળી જાવ અને ત્યાંથી દૂર જતા રહો. જેથી કોઇ હુમલો થાય તો સુરક્ષિત રહી શકાય.' મુશ્કેલીના આ સમયમાં અબુધાબીનું BAPS મંદિર તેમની મદદે આવ્યું. કેવી રીતે મંદિરનો સંપર્ક થયો અને ત્યાંથી શું-શું મદદ મળી તેની વાત કમલેશભાઇએ વિગતે કહી. અમદાવાદના ઋષિરાજ સ્વામીએ સાંત્વના આપીતેમણે જણાવ્યું કે, અમને સમાચાર મળ્યાં કે અબુધાબીનું BAPS મંદિર દુબઇમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યું છે પણ મારી પાસે મંદિરનો નંબર નહોતો એટલે મેં મારા સગા ભાઇને કહ્યું કે તું શાહીબાગ BAPS મંદિરમાં જા. મારા ભાઇએ શાહીબાગ મંદિરે પહોંચીને મારી હોટલનું કાર્ડ અને પરિસ્થિતિ વિશે ઋષિરાજ સ્વામીને વાત કરી. ઋષિરાજ સ્વામીએ કમલેશભાઇના ભાઇને સાંત્વના આપીને કહ્યું કે હું તેમની વિગતો બ્રહ્મવિહારી સ્વામીને પહોંચાડી દઉં છું. તેઓ હાલ અબુધાબીમાં જ છે. 2 કલાકમાં જ બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યોઆ અંગે કમલેશભાઇ કહે છે કે, મારી વિગતો જેવી પહોંચાડી કે તેના 2 જ કલાકમાં મારા પર બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો. સ્વામીએ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું અહીંના હરિ ભક્તોને કહું છું. એ તમને લેવા આવશે અને તમારી બધી જ વ્યવસ્થા થઇ જશે. બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાતચીતના થોડા જ સમયમાં એક હરિભક્ત કાર લઇને કમલેશભાઇ અને તેમના પત્નીને લેવા હોટલ પર પહોંચ્યા હતા અને એક સારા મકાનમાં રહેવા-જમવાની સુવિધા કરી આપી હતી. જેના કારણે દંપતીને રાહત થઇ. અમદાવાદ આવવાની ટિકિટ કરાવી દીધીતેઓ કહે છે કે, હરિભક્તે 3 દિવસ સુધી સતત અમારા ભોજનથી લઇને રહેવા અને દવાની જરૂરિયાતનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખ્યું હતું. ત્રીજા દિવસના અંતે તો અમને કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ પણ અમે કરાવી દીધી છે આટલું સાંભળતા જ અમે ખૂબ જ રાજી થઇ ગયા હતા. હરિભક્તો એરપોર્ટ સુધી મૂકી ગયાકમલેશભાઇ અને તેમના પત્ની જ્યારે ભારત પાછા આવી રહ્યાં હતા ત્યારે 2 હરિભક્તો તેમને કારમાં લેવા આવ્યા હતા અને એરપોર્ટ સુધી મૂકી ગયા હતા. આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે, હરિભક્તો અમારા માટે ભોજન પણ લઇને આવ્યાં હતા. જ્યારે અમને એરપોર્ટ ઉપર ઉતાર્યા અને અમે અંદર જતાં હતા ત્યારે પણ ખૂબ જ સહજભાવે હરિભક્તોએ કહ્યું કે અમે અહીં બહાર જ ઊભા છીએ. તમારી બધી પ્રોસેસ પૂરી થઇ જાય એ પછી જ અમે અહીંથી જઇશું. અમે એરપોર્ટમાં ગયા જે બાદ અમારી બધી પ્રોસેસ પૂર્ણ થઇ ગઇ પછી અમે તે હરિભક્તોને જાણ કરી અને અમારો ફોટો પણ તેમને મોકલી આપ્યો. આટલી વાત કહેતાં જ કમલેશભાઇને ડૂમો ભરાઇ ગયો. થોડીક ક્ષણ માટે તેઓ ચૂપ થઇ ગયા અને કહ્યું આ લોકો અમારી મદદે ન આવ્યાં હોત તો અમારું શું થાત? અમે દુબઇથી સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર આવ્યાં. દીકરી અને જમાઇ અમને લેવા આવ્યાં હતા. બહાર આવતાં જ મેં તેમને કહ્યું કે પહેલાં તમે અમારો ફોટો પાડો અને સ્વામીને મોકલો કે અમે શાંતિથી પહોંચી ગયા છીએ. BAPS મંદિરે કરેલી મદદને આ દંપતી ક્યારેય ભૂલી શકે તેમ નથી.તેમણે કહ્યું કે, જ્યાં કોઇ સગા ન હોય ત્યાં અમને BAPS જેવી સંસ્થાએ મદદ કરી હતી એટલું જ નહીં અહીં પાછા આવવા માટે મોંઘામાં મોંઘી ટિકિટ કરી આપી. અમારા માટે તો એ લોકો ભગવાનના રૂપમાં હતા તેવું લાગ્યું. કેટલીક સંસ્થાઓ ત્યાં મદદ માટે કહેતી હતી પણ આવી કોઇ સુવિધા કરતી નહોતી પણ આ લોકોએ ખરેખર અમને સારી રીતે મદદ કરી. કમલેશભાઇ સાથે વાતચીત કર્યા બાદ દિવ્ય ભાસ્કરે તેમના પત્ની ગીતાબેન પાસેથી તેમનો અનુભવ જાણ્યો.ગીતાબેને કહ્યું કે, જ્યારે એરપોર્ટ બંધ કરી દેવાયું ત્યારે ચિંતામાં ને ચિંતામાં મારું બ્લડ પ્રેશર અને ડાયાબિટિશ હાઇ થઇ ગયું, શરીર વીક થઇ ગયું અને ચક્કર આવવા લાગ્યાં હતા. અમે રડીને રાતો વિતાવી છેઃ ગીતાબેન'અમારે ટૂર સિવાયના વધારાના પાંચેક દિવસ ત્યાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન મને ઠંડી લાગી અને તાવ આવ્યો હતો. અમે હોટલવાળાને રિક્વેસ્ટ કરી હતી કે ઓઢવાનું એકસ્ટ્રા આપો. તેમણે ઓઢવાનું તો આપ્યું પણ હોટલનું ભાડું વધારી દીધું. હું સતત રડ્યાં જ કરતી હતી જેના કારણે મારા શરીર પર પણ તેની અસર પડી રહી હતી. ધડાકાના અવાજ સાંભળીને અમારા ધબકારા એકદમથી વધી જતાં હતા. બપોરે કે રાતે ઊંઘ પણ નહોતી આવતી. આખી આખી રાતો અમે રડીને કાઢી હતી.' પાછા આવ્યા ત્યારે હાશકારો થયોગીતાબેને ઉમેર્યું કે, જ્યારે પાછા આવવા માટે અમારી ટિકિટ બૂક થઇ અને અમે પાછા આવ્યાં ત્યારે અમને હાશકારો થયો હતો.
ઝળહળતી સિદ્ધિ:વાગડમાં માંજુવાસ પ્રાથમિક શાળાના 19માંથી 16 છાત્રો CET પરીક્ષામાં સફળ
માંજુવાસ પ્રાથમિક શાળામાં CET પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર છાત્રોના સન્માન માટે સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે છાત્રોને સ્વ.અરજણભાઈ ડાંગરની સ્મૃતિચિન્હરૂપે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જેના દાતા નાગદાનભાઈ ભચાભાઈ ડાંગર રહ્યા હતા. છાત્રો માટે પ્રીતિભોજનનું આયોજન વાલીગણ દ્વારા કરાયું હતું. આ વર્ષે CET પરીક્ષામાં શાળાના કુલ 19 છાત્રોમાંથી 16એ સફળતા પ્રાપ્ત કરી હતી. ઉપરાંત માસ દરમિયાન સો ટકા હાજરી ધરાવતા છાત્રોને પણ ઇનામ આપી વિશેષ પ્રોત્સાહન અપાયું હતું. આવા કાર્યક્રમો છાત્રોમાં નિયમિત હાજરી પ્રત્યે ઉત્સાહ વધારવામાં અને ડ્રોપઆઉટ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આચાર્ય ભૂમિકાબેન પટેલના માર્ગદર્શનમાં શિક્ષકોએ શાળા સમય બાદ નિયમિત રોજ એક કલાક વધારાનો સમય ફાળવી CET પરીક્ષાની વિશેષ તૈયારી કરાવી હતી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે સરપંચ આલાભાઈ ડાંગર દ્વારા દરેક વિદ્યાર્થીને ડિજિટલ આઈ-કાર્ડ બનાવી આપી પ્રોત્સાહિત કરાયા હતા. હરેશભાઈ ડાંગર અને બાબુભાઈ આહિરે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત ગામના દાતાઓએ છાત્રોના ગણવેશ માટે રૂ.1.50 લાખની રકમ આપવાની જાહેરાત કરી હતી. આ અવસરે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ સુરેશગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા.
અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ દસ દિવસીય ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરાયું હતું. તેના સમાપન અર્થે સમારંભનું આયોજન પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કા. સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠીયાએ કહ્યું કે, સ્થાનિકોની ઉત્સાહપૂર્વકની ભાગીદારીથી મેળો સફળ બન્યો છે. શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસે ધંધાર્થીઓ, શહેરીજનો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. પાલિકાના પદાધિકારીઓના હસ્તે ભાગ લેનાર તમામ સ્થાનિક વેપારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સ્વાગત પ્રવચન ખીમજી સિંધવ, સંચાલન ભારતીબેન બારોટ અને આભારવિધિ રશ્મિનભાઈ ભીંડેએ કરી હતી. દસ દિવસ ચાલેલા સ્વદેશી મેળામાં રેસિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબતી ધૂપ, હોમ મેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ સાબુ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી અતર પરફ્યુમ, ગાયનું શુદ્ધ ઘી, અથાણા, પાપડ, ખાખરા, અજરખ સાડી, ડ્રેસ, કુર્તી વગેરે જેવા 57 સ્ટોલ રાખવામાં આવ્યા, જેને આવકાર મળ્યો હતો. જેમાં 15 હજાર વ્યક્તિઓએ મુલાકાત લીધી અને અંદાજિત રૂ.20 લાખનું વેચાણ થયું હતું. દરેક ધંધાર્થીઓને સ્ટોલ વીજળી, પાણી, સફાઈ સહિતની આનુસાંગિક સુવિધા સાથે વિનામૂલ્યે અપાઈ હતી. સ્થાનિક વેપારીઓએ પાલિકાનો આભાર આવા મેળાનું આયોજન સરકાર તરફથી દર ત્રણ માસે કરવું જોઈએ એવું પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, નરસિંહભાઈ દાવા, મયુરભાઈ હેરમા, નિરૂપાબેન પ્રજાપતિ, મીરલબેન વેગડ, જયભાઈ ખોડિયાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
ભુજની સંસ્કાર કોલેજ બહાર 7 મહિના અગાઉ વિદ્યાર્થીનીનું છરીથી ગળું કાપીને હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર મારફતે સૂચના અપાઈ હતી કે, કોલેજમાં સુરક્ષા ગાર્ડ, સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે પરંતુ યુનિવર્સિટી સંલગ્ન અબડાસાના કનકપરમાં આવેલી કોલેજ દ્વારા હજુ સુધી કોઈ સુવિધા ઉભી કરાઈ નથી. એક મહિના અગાઉ એબીવીપી દ્વારા આ મુદ્દે કોલેજમાં રૂબરૂ જઈને આચાર્ય સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે મામલે યુનિવર્સિટીએ જવાબ માંગતા કોલેજ દ્વારા કુલસચિવને સંબોધીને 5 માર્ચના એવો જવાબ મોકલાયો કે, મેઇન ગેટ પાસે કેમેરા લગાવવાની કામગીરી ચાલુમાં છે જે 7 માર્ચથી શરૂ થશે. સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજમાં ક્રોસ તપાસ કરતા હજુ સુધી કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ ન હોવાનું સામે આવ્યું છે. જેથી કોલેજે યુનિ.ને ઉંધા ચશ્મા પહેરાવ્યા અને યુનિ.એ પહેરી પણ લીધા છે. સ્થળ પર જઈને કોઈ તપાસ કરાઈ નથી જેથી યુનિ.ની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ, કનકપરમાં આવેલી એ.જે.પી.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિના અગાઉ એબીવીપીની રજૂઆત બાદ તાજેતરમાં કોલેજ પ્રશાસને કચ્છ યુનિવર્સિટીને લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે, કોલેજમાં સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરી દેવાઇ છે. જોકે, વાસ્તવિકતા તપાસતા આ તમામ દાવા માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. વાડી વિસ્તારમાં આવેલી આ કોલેજમાં સુરક્ષાના નામે શૂન્ય વ્યવસ્થા હોવા છતાં યુનિ.એ કોલેજના ખોટા અહેવાલને આંખ મીંચીને સ્વીકારી લીધો, જે યુનિવર્સિટી અને ખાનગી કોલેજ વચ્ચેની શંકાસ્પદ મિલીભગત તરફ આંગળી ચીંધે છે. ભૂતકાળમાં જિલ્લાની અન્ય કોલેજોમાં બનેલી હિંસક ઘટના બાદ પણ યુનિ. તંત્ર કનકપર કોલેજની બેદરકારી સામે મૌન સેવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા અંગત હિત ખાતર લાયકાત વિહોણી કોલેજોને છાવરવામાં આવે છે. સ્નાતકના છાત્રોને જ સ્નાતક જ ભણાવેચોંકાવનારી બાબત એ છે કે, જે કોલેજમાં વિદ્યાર્થીઓ સ્નાતક થવા જાય છે, ત્યાં તેમને ભણાવનારા 60 ટકાથી વધુ અધ્યાપકો પાસે પૂરતી લાયકાત નથી. યુજીસીના નિયમો મુજબ કોલેજમાં ભણાવવા માટે નેટ, સ્લેટ કે પીએચડી અનિવાર્ય હોવા છતાં અહીં માત્ર બેચલર ડિગ્રી ધરાવતા કેટલાક વ્યક્તિઓ પ્રાધ્યાપકની ખુરશી પર બેસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. કચ્છ યુનિ.ની ભૂમિકા શંકાના દાયરામાંઅબડાસાની કનકપર કોલેજમાં શિક્ષણના નામે ચાલતી લોલમ લોલ પરાકાષ્ઠાએ પહોંચી છે. આ કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન લાયકાત વિહોણી નિમણૂકો સામે આંખ આડા કાન કરે છે. કોલેજમાં જઈને ક્રોસ તપાસના બદલે માત્ર કાગળ પરના જવાબને સાચો માની લેવામાં આવ્યો છે. યુનિ. દ્વારા સમયાંતરે તપાસનો દાવો કરાય છે તો સ્નાતક પ્રોફેસરો કેમ નજરે નથી ચડતા? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં પર અંકુશ લાવવા અને લાયકાત વગરના સ્ટાફને દૂર કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ABVPએ તપાસ સમિતિની માંગ કરીયુનિ.દ્વારા તાત્કાલિક કનકપર કોલેજની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કમિટી બનાવવામાં આવે તેમજ લાયકાત વિનાના સ્ટાફ તથા ગેરમાર્ગે દોરતો ખોટો અહેવાલ આપવા બદલ કોલેજની માન્યતા રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ મામલે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો ABVP દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ અને યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા
શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી મોબાઈલ મળવા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ એક મહિનાની અંદર બીજી વખત બિનવારસુ મોબાઈલ મળી આવ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડે તપાસ કરતા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમના પાછળ ગટરની કુંડી નજીક છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા છે. પાલારા ખાસ જેલ ખાતે 11 માર્ચના અમદાવાદની ઝડતી સ્કવોર્ડ ટીમે તપાસ હાથ ધરી છે.એ દરમિયાન સાંજે પોણા છ વાગ્યાના અરસામાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ આવેલ ગટરની કુંડી નજીક જમીનમાં ખાડો કરીને છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા હતા. બન્ને મોબાઈલ પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બિનવારસુ મળી આવ્યા હતા.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ 13 ફ્રેબ્રુઆરીના સ્થાનિક ટીમે ઝડતી તપાસ દરમિયાન બેરેક 505 ની બહાર આવેલા બાથરૂમ નજીક ગટરની ચેમ્બરના પાઈપમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ,રાઉટર અને ચાર્જર કબ્જે કર્યા હતા.તેવામાં હવે ફરી એકવાર મોબાઈલ મળી આવ્યા છે.
આવતીકાલે રાષ્ટ્રીય લોક અદાલત:કચ્છમાં કાલે રાષ્ટ્રીય લોક અદાલત અંદાજિત 10 હજાર કેસો રજૂ કરાશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આવતીકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા ખાસ મેજિસ્ટ્રેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએસએલએ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લામાંથી 10 હજાર જેટલા કેસો લોક અદાલત તેમજ સ્પેશિયલ સિટિંગ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં, ફોજદારી સમાધાનપાત્ર ગુનાઓ, જમીન સંપાદન વળતર કેસો, ગ્રાહક તકરારો, બેંક રિકવરી, લેબર વિવાદો, મોટર અકસ્માત વળતર કેસો, લગ્ન સંબંધિત તથા અન્ય દિવાની કેસો, પબ્લિક યુટિલિટી સર્વિસીસ સંબંધિત મામલાઓ જેમ કે બેંક રીકવરી, પાણીના બાકી લેણાં તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના કેસોનો સમાવેશ કરવામાં થાય છે. વાહન અકસ્માત વળતર સબંધિત તકરારો માટે આયોજિત પૂર્વ બેઠકમાં ટ્રાફિક નિયમભંગ બદલ નોટિસ મળેલા વાહનચાલકોને બાકી દંડની રકમ ભરપાઈ કરી કેસોનો સમાધાનથી અંત લાવવા અપીલ કરાઇ છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. ના માર્ગદર્શન હેઠળ આયોજિત લોક અદાલત અંગે વધુ માહિતી માટે ભુજ સ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (02832-254930) તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિઓ રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા ખાતે સંપર્ક કરી શકાય છે. કચ્છભરમાં આયોજિત લોક અદાલતની સાથે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.એમ.પાટડિયા દ્વારા રાપર ન્યાયાલયના એન.જે. રબારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું, 20970 LPG બુકિંગ સામે 12959 બોટલ જ ઉપલબ્ધ
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે છેક સરહદી જિલ્લા કચ્છના રસોડા સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું છે. કચ્છમાં બુકિંગની સામે હાલ જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના મુખ્ય શહેરો ગાંધીધામ, ભુજ અને માંડવીમાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકો ખાલી સિલિન્ડર લઈને લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. કચ્છમાં ગેસ વિતરણ કરતી મુખ્ય ત્રણ ઓઈલ કંપનીઓ IOCL, BPCL, અને HPCL પાસે ગુરુવારના કુલ 20,917 ગ્રાહકોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. જેની સામે હાલ 12,959 ગેસની બોટલનો જ જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ 7,496 બોટલ અન્ય શહેરોથી કચ્છ માટે રવાના કરવામાં આવ્યા છે. કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં છેલ્લા ત્રણ દિવસથી એજન્સીઓ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જરૂરિયાત સામે પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. આ જ પરિસ્થિતિ ભુજ અને માંડવીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ગ્રાહકોને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ‘પેનિક બુકિંગ’ની છે. ગેસની અછત સર્જાશે તેવી આશંકાએ જેમને તાત્કાલિક જરૂર નથી તેવા ગ્રાહકો પણ રિફિલિંગ માટે દોડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં થતા બુકિંગ કરતા અત્યારે બુકિંગનો આંકડો અચાનક વધી જતા એજન્સીઓ પર દબાણ વધ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી બુકિંગ ન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ આ યુદ્ધની પરિસ્થિતિમાં ગામ અને શહેરના દરેક ચોકમાં માત્ર ગેસના બોટલની જ ચર્ચા થઇ રહી છે. કોને મળશે અને ક્યારે મળશે તેવી જ વાતો થઇ રહી છે. કેન્દ્રથી લઈને સ્થાનિક સુધી ગેસ એજન્સીના ફોન બંધહાલ સર્જાયેલી ગેસની અછત સમયે લોકો ગભરાહટમાં બુકિંગ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક એજન્સીઓ સુધી તમામે ફોન નંબર બંધ કરી દીધા છે. ભાસ્કરે રીયાલીટી ચેક માટે ભુજની 5 ગેસ એજન્સીઓની સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ બે એજન્સીનો ફોન બંધ આવ્યો હતો, જયારે ૩ એજન્સીના સંચાલકોએ ફોન રીસીવ કર્યા જ ન હતા. માત્ર નખત્રાણાની ગેસ એજન્સીનો ફોન ઉપડ્યો હતો, અને જણાવ્યું હતું કે બુકિંગ બાદ ૩ દિવસે તમને ગેસનો બોટલ મળી જશે. ભુજ અને ખાવડામાંથી સંગ્રહખોરી થતા 26 બોટલ જપ્ત એક તરફ મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાયમાં મુશ્કેલીઓ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ કચ્છના સરહદી વિસ્તારોમાં સ્થિતિનો ગેરલાભ ઉઠાવી કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. જેના ભાગરૂપે ભુજ શહેર અને ખાવડા વિસ્તારમાં પુરવઠા વિભાગે સપાટો બોલાવી ગેરકાયદે ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા બાતમીના આધારે ખાવડાના પ્રમુખસ્વામી નગર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં બિપિન દાવડા દ્વારા સંચાલિત ‘સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર’ નામની દુકાનમાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી 19 કિલ્લોના 11 કોમર્શિયલ સિલિન્ડર અને 4 ખાલી બોટલ તેમજ 14.2 કિલોના 7 ઘરેલુ સિલિન્ડર અને 2 ખાલી બોટલ સહીત કુલ રૂા. 1,01,244 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ભુજના એરપોર્ટ રોડ પર આવેલી રીયલ પેપરિકા નામની રેસ્ટોરેન્ટમાંથી બે કોમર્શીયલ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા હતા. રેસ્ટોરેન્ટમાંથી નિયમ કરતા વધુ ગેસના બોટલ મળી આવ્યા હતા. સરકાર નિયમ મુજબ 100 કિલોથી વધુ સંગ્રહ કરી શકાય નહી. જેથી 3800 રૂપિયાની કિંમતની 2 કોમર્શીયલ બોટલ પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.એક તરફ જ્યારે સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે, ત્યારે આવા સંગ્રહખોરો કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી કરવાનું પાપ કરી રહ્યા છે. ગેસ ડીલર અને એજન્સીઓ સાથે તંત્રની બેઠક યોજાઇહાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આવશ્યક ચીજવસ્તુ અંતર્ગત LPG પૂરવઠો જિલ્લા સુવ્યવસ્થિત રીતે જળવાય રહે અને જરૂરિયાત પ્રમાણે અછત ન વર્તાય માટે જિલ્લાના તમામ ડિસ્ટ્રેબ્યુટર્સે સાથે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં પરિસ્થિતિ અન્વયે ખોટા સંદેશાઓ, અફવાઓ ન ફેલાય તથા બિન જરૂરી ભયનું વાતાવરણ ઊભું ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું, અને જિલ્લા ગેસ સંચાલકો બિન જરૂરી સંગ્રહ ખોરી થતા કાળા બજારી ન થાય તેની કાળજી રાખવા સુચના આપવામાં આવી છે. જો કોઈ સંગ્રહખોરી કરશે તો તમની સામે LPG કંટ્રોલ ઓર્ડર 2000 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અને ગેસ સિલિન્ડર રુલ 2016 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે ગેસ કંપનીઓમાં થયેલ બુકિંગના આંકડા
ભાસ્કર એક્સક્લુસિવ:કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ પાલિકાએ વર્ષમાં વાપર્યું
કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ ભુજ પાલિકાએ એક વર્ષમાં વાપર્યું છે. પેટ્રોલ અને ડીઝલ પર રૂ.1.80 કરોડનો ખર્ચ કરી પ્રજાના પૈસા અને ઇંધણ બંનેનો ધુમાડો પાલિકાએ કર્યો છે. ભુજ પાલિકાની ખાસ સામાન્ય સભામાં હિસાબી વર્ષ પૂરું થતું હોઈ આવતા વર્ષના અંદાજિત આવક ખર્ચ દર્શાવતું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત રૂ. 149 કરોડની આવક સામે રૂ. 148 કરોડ જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં જીવન જરૂરિયાત સમાન દરેક માટે અનિવાર્ય એવા ઈંધણ પર પાલિકા દ્વારા એક વર્ષમાં રૂ.1.80 કરોડ ખર્ચ કરાયાનો ઉલ્લેખ છે. પાલિકા દ્વારા વર્ષ 2023-24માં રૂ.1.33 કરોડ ખર્ચ કરાયા હતા તો ત્યારબાદના વર્ષ 2024-25માં રૂ.13 લાખ ખર્ચના ઘટાડો નોંધાયો હતો અને રૂ.1.20 કરોડ વપરાયા હતા. તો, ત્યારબાદ 2025-26માં રૂ.60 લાખનો વધારો જોવા મળ્યો અને સમગ્ર વર્ષમાં રૂ.1.80 કરોડનો ખર્ચ ઈંધણ પાછળ દર્શાવાયો છે. 56 ચોરસ કિલોમીટર એટલે કે અંદાજે 7.5 કિમી લંબાઈ અને 7.5 કિમી પહોળાઈ વિસ્તાર ધરાવતા ભુજ શહેરમાં પાલિકા દ્વારા વર્ષ દરમિયાન રૂ.1.80 કરોડ વિવિધ વાહનો દ્વારા ઈંધણ પર વાપરવામાં આવ્યા છે. હાલે પેટ્રોલ રૂ.94.80 છે તો ડીઝલ રૂ.90.48 છે. જેને વાર્ષિક સરેરાશ રૂ.90 ગણીએ તો અંદાજે 2 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલ વાપરવામાં આવ્યું છે. ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિત અન્ય સાધનો દ્વારા વપરાયેલું આ ઈંધણ જો સરેરાશ પ્રતિ લિટર 20ની પણ એવરેજ ગણવામાં આવે તો 40 લાખ કિમી અંતર કાપી શકાય એટલું આ ઈંધણ કહી શકાય. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1111 આંટા માર્યા સમાન છે. જો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું રસ્તા પરથી સફર કરવામાં આવે તો વધુમાં વધુ 3,600 કિમી થાય છે.
મ.સ.યુનિ.ના કોમર્સ ફેકલ્ટીના સાંસ્કૃતિક ઉત્સવ અર્થરંગના ચોથા દિવસે, વિવિધ ક્રિએટિવિટી અને પર્ફોર્મિંગ આર્ટ્સ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મિમિક્રી, સ્કીટ, પોસ્ટર મેકિંગ, કાર્ટૂન મેકિંગ, પેઇન્ટિંગ અને વેસ્ટર્ન ડાન્સ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જે વિદ્યાર્થીઓને તેમની કલાત્મક ક્ષમતાઓ, સર્જનાત્મકતા અને સ્ટેજ હાજરી દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડતા હતા. મિમિક્રી સ્પર્ધામાં જાણીતા વ્યક્તિત્વો અને પાત્રોના અનુકરણો દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. જેમાં નોંધપાત્ર અવાજ મોડ્યુલેશન અને અભિવ્યક્તિઓ દર્શાવવામાં આવી હતી. વિઝ્યુઅલ આર્ટ્સ સેગમેન્ટમાં વિદ્યાર્થીઓએ પોસ્ટર મેકિંગ, કાર્ટૂન મેકિંગ અને પેઇન્ટિંગ સ્પર્ધાઓ દ્વારા રંગો અને ચિત્રો દ્વારા કલાત્મક રજૂ કરી હતી. તે સાથે પશ્ચિમી નૃત્ય સ્પર્ધામાં નૃત્ય નિર્દેશન અને જીવંત પ્રદર્શન આપ્યું હતું
મ.સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા લગભગ 60 વર્ષ જૂના ઐતિહાસિક ઓપન એર થિયેટરમાં 15 વર્ષ બાદ ફરી વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. ઉસ્તાદોથી ઊભરાતું મ્યુઝિક કોલેજનું ઓપન એર થિયેટર ફાયર સેફ્ટિની ગૂંચમાં 15 વર્ષે કલાથી ખીલ્યું. લાંબા સમય બાદ આ મંચ પર સંગીત, નૃત્ય અને નાટ્યકલાના કાર્યક્રમો યોજાતા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કલારસિકો માટે આ વિશેષ પ્રસંગ બન્યો હતો. કાર્યક્રમમાં સંગીત, નૃત્યના સમન્વય દ્વારા શાસ્ત્રીય સમૃદ્ધિ દર્શાવવામાં આવી હતી. પ્રથમ દિવસના કાર્યક્રમો પ્રખ્યાત નાટ્યકાર અને શિક્ષણવિદ્ પદ્મશ્રી ચંદ્રવદન મહેતાની 125મી જન્મજયંતિને સમર્પિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગણેશ સ્તુતિથી કરવામાં આવી, જેના દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક અને કલાત્મક માહોલ પ્રાપ્ત થયો. ત્યારબાદ ‘રાગ-રંગ’ કાર્યક્રમ હેઠળ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની વિવિધ રજૂઆતો કરવામાં આવી. તેમજ ‘ગ્લોરી ઑફ તીનતાલ’ કાર્યક્રમ દ્વારા ભારતીય લયપરંપરાની વિશિષ્ટતા અને તબલા વાદનની કલાત્મકતા રજૂ કરવામાં આવી. આ સાથે કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલ તરાના તથા કથક નૃત્યની રચનાઓએ ભારતીય શાસ્ત્રીય કલાની સૌંદર્યપરંપરાને ઉજાગર કરી હતી. 60 વર્ષ જૂના ઓપન એર થિયેટરમાં ફરી કલાનો ગુંજારોપરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રેએ જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ સંકુલના પ્રાંગણમાં યોજાતો આ વાર્ષિકોત્સવ સમગ્ર સંકુલ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે સંગીત, નૃત્ય અને નાટ્યકલા ભારતીય સંસ્કૃતિના મહત્વપૂર્ણ સ્તંભો છે અને આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની અમૂલ્ય તક મળે છે.
દેણા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી કન્ટેનર અને પીકઅપમાં ભરેલા ડ્રમમાંથી રૂા.23.06 લાખની 4498 દારૂની બોટલો સાથે રૂા.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે 4ની ધરપકડ કરી દારૂ મોકલનાર સુનિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ વડોદરામાં કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હરણી પીઆઈ એસ.વી.વસાવાએ જણાવ્યું કે, 11 માર્ચે બાતમી મળી હતી કે, દેણા બ્રીજથી ગોલ્ડન ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર કન્ટેનરમાંથી પીકઅપમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. પોલીસે ટ્રક અને વડોદરા પાસીંગની પીકઅપમાં ભરેલાં ડ્રમ તપાસતા રૂા.23.06 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂા.36.19 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે પકડેલાં 4 આરોપીમાં અસીફખાન ઝુબેરખાન (હરીયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરીયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (છાણી), અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (ગોરવા)નો સમાવેશ થાય છે. ફતેગંજના બૂટલેગર જાવેદ એન્ડ કંપની દ્વારા શહેરમાં વર્ચસ્વ જમાવાયુંએસએમસીએ શહેરના બુટલેગરો સામે ગુજસીટોક સહિત કડક કાર્યવાહી કરી હતી. પરીણામે શહેરમાં દારૂ સપ્લાય કરતી સિંધી ગેંગ વેરવિખેર થઈ હતી. જેનો લાભ ઉઠાવી મુસ્લિમ ગેંગ સક્રિય થઈ છે. જેમાં ઈમરાન દરબાર, ખાલીદ, રિયાઝ, જાવેદ, રાંકો અને કાલુ સહિત બુટલેગરોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. રેલ્વે દ્વારા દારૂનો જથ્થો શહેરમાં મંગાવતા હતાં. જેના અહેવાલો પ્રસિધ્ધ થતાં રેલ્વેમાંથી દારૂ મંગાવવાનું બંધ થયું છે. જ્યારે ફતેગંજના બુટલેગર જાવેદ એન્ડ કંપનીએ રોડમાર્ગે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર ઈરાન સાથે જોડાયેલા છે, નવા સુપ્રીમ લીડરે કહ્યું કે તેલ માટે હોર્મુઝનો રસ્તો અત્યારે ખુલશે નહીં. જ્યારે બીજા સમાચાર દેશમાં LPG સંકટને લઈને છે, રસોઈ ગેસ સિલિન્ડર બમણા ભાવે વેચવામાં આવી રહ્યો છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ નરેન્દ્ર મોદી આસામનો પ્રવાસ કરશે. તેઓ અનેક પરિયોજનાઓનું શુભારંભ અને ઉદ્ઘાટન કરશે. 2. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. LPGની અછત અને વધતી કિંમતો પર વિપક્ષ હંગામો કરી શકે છે. કાલના મોટા સમાચારો 1. ઈરાની સુપ્રીમ લીડરે કહ્યું- અમેરિકી બેઝ પર હુમલા ચાલુ રહેશે:પદ સંભાળ્યા બાદ મુજતબાનું પ્રથમ નિવેદન; કહ્યું- હોર્મુઝનો રસ્તો નહીં ખુલે ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજતબા ખામેનીએ પદ સંભાળ્યા બાદ ગુરુવારે પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું. આમાં તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દે, નહીં તો તેમના પર હુમલા જારી રહેશે. મુજતબાએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તેમણે ઈરાન પર કરેલા હુમલાની ‘ભરપાઈ’ કરવી પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1800 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 4000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. 3. હાર્દિક પંડ્યા જોશમાં હોશ ખોઈ બેઠો:વર્લ્ડકપ જીતની ઉજવણી દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાઈ, ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂઈ ગયો હતો ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી છે. ભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પ ભારતના મિત્ર છે કે દુશ્મન?:ફરી ભારે ટેરિફ લગાવવાની તૈયારી, 'સેક્શન 301'ને બનાવ્યું હથિયાર; ભારત સહિત 16 દેશ સામે તપાસ શરૂ કરી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત તેના 16 મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ 'સેક્શન 301' હેઠળ નવી તપાસ શરૂ કરી છે. 'સેક્શન 301' અમેરિકાને એવા દેશો પર એકતરફી ટેક્સ વધારવાની શક્તિ આપે છે, જે તેની કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હોય. ગયા મહિને અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, પ્રશાસન હવે નવા કાનૂની રસ્તાઓથી ટેરિફનું દબાણ પાછું બનાવવાની તૈયારીમાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. JKના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ, VIDEO: સુરક્ષા જવાનોએ તેમને બચાવ્યા, હુમલાખોરે કહ્યું- 20 વર્ષથી તેમને મારવા માંગતો હતો નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ. સદનસીબે, તેમને ગોળી વાગી નહીં. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફારુક જમ્મુમાં એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ હતા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમાં દેખાય છે કે 70 વર્ષીય હુમલાખોર કમલ સિંહ જામવાલ પાછળથી આવીને ફારુકના માથા પર રિવોલ્વર તાકી રહ્યો છે. સુરક્ષા જવાનોએ તાત્કાલિક હુમલાખોરનો હાથ હટાવ્યો, જેના કારણે હવામાં ફાયરિંગ થયું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો ઘરેલું ગેસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તો બીજી તરફ ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી તંગીને કારણે હજારો ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આદિ કૈલાસ યાત્રા 1 મેથી શરૂ કરવાની તૈયારી:એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી પરમિટ મળશે; ગયા વર્ષે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ઈરાનમાં હજુ સરકાર પાડી નહીં શકે અમેરિકા:વર્તમાન લીડરશિપનો જનતા પર સંપૂર્ણ નિયંત્રણ; ટ્રમ્પ ટૂંક સમયમાં ઓપરેશન બંધ કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ પાસે યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પ્લાન નથી:ઈરાનની તાકાતનો ખોટો અંદાજ લગાવ્યો, ઓઈલ સપ્લાય ઠપ થશે એવું વિચાર્યું નહોતું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે નાના બાળકો પણ વાપરી શકશે વોટ્સએપ:મેટાએ પેરેન્ટ-મેનેજ્ડ મોડેલ રજૂ કર્યું; 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે હશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : BCCI ગિલને ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ આપશે:દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર મળશે; U-19 વર્લ્ડકપ જીતાડનાર મ્હાત્રે પણ સન્માનિત થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની રાજાને શીખ:જ્યાં સુધી આપણે આપણા ગુરુનું મનથી સન્માન નહીં કરીએ, ત્યાં સુધી આપણને જ્ઞાનનો પૂરો લાભ મળી શકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ યુદ્ધમાં ઈઝરાયલની ‘બોમ્બ શેલ્ટર ડેટિંગ’ એપ ઈરાન સાથેના જંગ વચ્ચે ઈઝરાયલમાં એક એપ ચર્ચામાં છે. મિસાઈલ સાયરન વાગતા જ લોકો શેલ્ટરમાં છુપાઈ જાય છે અને અવારનવાર કંટાળી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ એપ બનાવવામાં આવી છે, જેથી શેલ્ટરમાં હાજર સિંગલ લોકો આસપાસના સિંગલ્સ સાથે કનેક્ટ કરી શકે. જોકે, આને પ્રમોટ કરવા બદલ સરકારની ટીકા પણ થઈ રહી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી: 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે 2. એક્સક્લૂસિવ: ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે 3. પારકી પંચાત : ‘ગૃહ ખાવા માટે નથી’ શંકર ચૌધરી આકરા થયા:વિધાનસભામાં ધારાસભ્યોને ટોક્યા; રાજકોટમાં ગાંધીનગરથી નેતા આવ્યા, ફોટો પડાવ્યો ને ટોણો માર્યો 4. ભાસ્કર એક્સપ્લેનર : ભારત પાસે કેટલા દિવસનો LPG સ્ટોક બાકી છે:જો યુદ્ધ લાંબુ ખેંચાય તો સરકાર ક્યાંથી લાવશે રસોઈ ગેસ; તમારે શું કરવું જોઈએ 5. બ્લેકબોર્ડ: તેમને રિસર્ચ માટે લોહી જોઈએ છે, અમને રૂપિયા:પોતાના પર દવાઓનો ટ્રાયલ કરાવી છીએ, મોતની ઈચ્છા રાખીએ છીએ; બાળકોને 25 લાખ તો મળશે 6. RSS સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે:પ્રદેશ પ્રચારક પદ સમાપ્ત થશે, યુપી ચૂંટણીમાં પહેલો ટેસ્ટ; જાણો કેવું હશે નવું સ્ટ્રક્ચર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: ધન રાશિને દરેક ડગલે નસીબનો સાથ મળશે, તુલા જાતકોની યોગ્યતાની ચોમેર પ્રશંસા થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા દર વર્ષની માફક સમસ્ત રાજપૂત સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. ગીતા-કિશન સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચના સૌજન્યથી મકરપુરા ખાતે રાજપૂત સાંસ્કૃતિક ભવનમાં ધામધૂમથી લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 12 યુવક-યુવતીઓએ પ્રભુતામાં પગલા પડ્યાં હતા. નવદંપત્તીએ છુટાછેડા ન લેવાનું વચન આપ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા કાયાવરોહણ લકુલીશ ધામના પ્રિતમમુનીજીએ સરળ લગ્નજીવનના આશિર્વાદ આપ્યા હતા. 12 નવ દંપત્તિને કન્યાદાનમા ફ્રિજ, તિજોરી, ડબલ બેડ, ડ્રેસિંગટેબલ, સોફાસેટ, ટીપોઈ, સ્ટીલનો ડિનર સેટ, રસોડા સેટ, બાથરૂમ સેટ, મિક્સર ગ્રાઈન્ડર, ઇસ્ત્રી, ખુરશીઓ, વોટર કુલર જેવી અનેક જરૂરી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કમલેશસિંહ રાઉલજી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી કિરણસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ નરેશસિંહ ઝાલા સહિત આગેવાનોએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્ન ઉત્સવમાં ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરાના નવદંપત્તિ અને તેઓના સંબંધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ વહેલી સવારે 8 કલાકે શરૂ થયો હતો અને સાંજે 5 કલાકે કન્યા વિદાય કરાઇ હતી. સનાતન ધર્મમાં આસ્થા રહે તે માટે હનુમાન ચાલીસા અપાયારાજપુત સમાજની મહિલા પાંખ દ્વારા પણ કાર્યક્રમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન અપાયું હતું. મહિલા સંગઠને કેટલીક વસ્તુઓ નવદંપત્તીને ભેટ આપી હતી. સાથે સનાતન ધર્મમાં આસ્થા રહે તે માટે દરેકને હનુમાન ચાલીસા પણ ભેટમાં આપવામાં આવી હતી. પરિવારોએ 1.20 કરોડ બચ્યા હોવાનું કહી આભાર માન્યોસમૂહ લગ્નમાં એકપણ રૂપિયો લીધા વગર લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે અંગે રાજપુત સમાજ સમક્ષ 12 વર-કન્યાના 24 પરિવાઓએ સ્વીકાર્યું હતુ કે, પરિવાર દીઠ અંદાજે રૂ.5 લાખનો ખર્ચ થતો હતો, જેની મોઘવારીમાં બચત થઇ છે. પરિવારોએ સમાજનો આભાર માન્યો હતો.
સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજનએ જણાવ્યું હતું કે એઆઇ કરતાં હ્યુમન ઇન્ટલીજન્સ વધારે પાવર ફૂલ છે. સાયન્સ ફેકલ્ટીના તમામ વિભાગોમાં રીસર્ચરે વૈજ્ઞાનિકોના લેકચર યોજાયા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા આયોજિત સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સ-20226નું યુનિવર્સિટી કેમ્પસના પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે અને શિક્ષણ, વિજ્ઞાન અને સામાજિક પ્રગતિમાં તેમના દૂરંદેશી યોગદાનની ઉજવણી કરે છે. કન્વીનર પ્રો. કે. મુરલીધરને સમકાલીન વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં વૈજ્ઞાનિક નવીનતા અને આંતરશાખાકીય સહયોગના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. મુખ્ય વક્તા બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજન દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં એઆઇના વધતા પ્રભાવ વિશે વાત કરી હતી. તેમણે એઆઇ યુગમાં સુસંગત રહેવા માટે મૌલિકતા અને વિવેચનાત્મક વિચારસરણી જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, શૈક્ષણિક વહીવટકર્તાઓને શિક્ષણના ક્ષેત્રમાં એઆઇ પર પડકારો અને તકોને અસરકારક રીતે રજૂ કરવા વિશે જણાવ્યું હતું. યુનિવર્સિટીના વીસી ભાલચંદ્ર ભાણગએ સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલા સ્વપ્નદ્રષ્ટા શૈક્ષણિક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને સંશોધન શ્રેષ્ઠતાને પોષવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે સર સયાજીરાવ ગાયકવાડના પ્રગતિશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યું હતું અને યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને સામાજિક વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે વિજ્ઞાનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. યુનિ.ને રિસર્ચમાં આગળ લાવવા નેશનલ સાયન્સ કોન્ફરન્સ શરૂ થઇમ.સ.યુનિવર્સિટીને રીસર્ચ ક્ષેત્રે આગળ લાવવા માટે નેશનલ સાયન્સ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે આની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે દેશભરમાંથી ખ્યાતનામ વૈજ્ઞાનિકને આમંત્રિત કરીને રીસર્ચરોને આગળ વધારવા માટે પ્રોત્સાહીત કરવા માટે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. સાયન્સ કોન્ફરન્સમાં દેશભરના 550થી વધુ પ્રતિનિધિએ ભાગ લીધોસયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં 550 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. જેમાં દેશભરની સંસ્થાઓના શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરિષદ વૈજ્ઞાનિક આદાનપ્રદાન અને આંતરશાખાકીય સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે
ઠગાઈનો મામલો આવ્યો સામે:મહિલા સહિત ત્રણે સોનાના કહી નકલી મણકા આપી 7 લાખ ઠગ્યા
માંડવીના વેપારીને સોનાના નકલી મણકા પધરાવી રૂા.7 લાખ પડાવનાર મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. માંડવી વિસ્તારમાં દુપટ્ટાનો વેપાર કરતા 52 વર્ષિય મહેન્દ્રકુમાર રામચંદ્ર ગુપ્તાની દુકાને નવેમ્બર-2025માં એક અજાણ્યો શખ્સ અને મહિલા આવીને દુપટ્ટાની ખરીદી કરીને દુકાનનું વિઝિટિંગ કાર્ડ લઈ ગયા હતા. બાદમાં 25 ડિસેમ્બરે 2025ના રોજ શંકર પ્રજાપતિ નામનો શખ્સ દુકાને આવ્યો અને વેપારીના દીકરાને સોનાના બે મણકા આપીને તેને વેચવાની વાત કરી હતી ત્યારબાદ ઠગે વેપારીને વધુ સોનું આપવાની લાલચ આપી તરસાલી સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવ્યા હતા. જ્યાં શંકર પ્રજાપતિ સાથે 60 વર્ષનો વૃધ્ધ અને 50 વર્ષની મહિલા પણ હતી. મંદિરમાં પ્રસાદ અને નાળિયેર ચઢાવીને પૂજાપાઠનો ઢોંગ કરી, બીજા 4 મણકા ચેક કરવા આપી વિશ્વાસ કેળવ્યો હતો. અંતે તરસાલી શાકમાર્કેટ પાસે શંકર પ્રજાપતિ અને તેના સાગરીતોએ સોનાના મણકાની આખી થેલી રૂ. 7 લાખ રોકડા લઈને વેપારીને પકડાવી દીધી હતી. વેપારીએ સોની પાસે તપાસ કરતા ખબર પડી કે 6 મણકા જ સોનાના હતાં. જ્યારે બાકીના મણકા અન્ય ધાતુના હતા. આ અંગે વેપારીએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નવી પહેલ:ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર સલામતીના અભ્યાસક્રમની શરૂઆત થશે
વિદ્યાર્થીઓમાં સાયબર સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ વિષયક અભ્યાસ હાથ ધરાશે. ધો.9થી12ના વિદ્યાર્થીનો સાયબર સલામતીના કોર્સમાં સમાવેશ થશે. વિદ્યાર્થીઓને લિંક-કયુઆર કોડ આપીને સર્વે કરાશે. એનઇપીનો ઉદ્દેશ્ય ડિજિટલ માળખું મજબૂત બનાવવા અને શિક્ષણ પ્રક્રિયાઓમાં ટેકનોલોજીને એકીકૃત કરવાનો છે. જેનાથી શિક્ષણમાં ચાલી રહેલા ડિજિટલ પરિવર્તનને ટેકો મળશે. શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, સગીર હોવાને કારણે, ટેકનોલોજીના ઉપયોગમાં અત્યંત સલામતીની જરૂર છે. ઇન્ટરનેટ ઍક્સેસ તેમને હિંસક અને અપમાનજનક વર્તનનો ભોગ બનાવી શકે છે. તેથી આ ચિંતાઓને દૂર કરવા માટે, જાગૃતિ પહેલ અને અસરકારક સુરક્ષા પગલાં દ્વારા સાયબર સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. શિક્ષણ મંત્રાલયે શાળાના અભ્યાસક્રમમાં સાયબર સલામતી અને સુરક્ષાને એકીકૃત કરવા માટેની માર્ગદર્શિકા પણ શેર કરી છે. ઓનલાઈન ગૂગલ ફોર્મ દ્વારા માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેથી તમામ જિલ્લાઓને વિનંતી કરવામાં આવે છે કે આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 9 થી 12 સુધી સૂચનાઓ આપવામાં આવી છે.
ગંદા પાણીની ફરિયાદ ઉઠી:ફરામજી ચાલમાં ગંદું પાણી આવતાં 6 માસથી રહીશો કચરો ઠારી ઉપરનું પાણી પીવા મજબૂર
આકરા ઉનાળાની શરૂઆતથી જ શહેરમાં પાણીની પળોજણ શરૂ થઈ છે. સયાજીગંજ ફરામજી ચાલીમાં ગંદા પાણીની ફરિયાદ ઉઠી છે. રહીશોનું કહેવું છે કે, કચરો ઠરી ગયા બાદ ઉપરનું પાણી પીવા મજબૂર થયાં છીએ. જ્યારે વાઘોડિયા રોડની સાહિત્ય ગ્રીનમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ફરામજી ચાલીમાં 6 મહિનાથી પાણી ગંદુ આવે છે. જેથી લોકો બીમાર પડી રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે, ગંદા પાણીના કારણે બાળકો માંદા પડે છે. પેટમાં ચૂકવવાની ફરિયાદો થઈ રહી છે. વોર્ડ કચેરી અને કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ નિરાકરણ આવતું નથી. પાણીનો કચરો ઠરી જતા બનેલા પાણીનો પીવા તરીકે ઉપયોગ કરીએ છીએ. વાઘોડિયા રોડ પર હાઇવે નજીક સાહિત્ય ગ્રીન ફ્લેટમાં બે વર્ષથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદ સાથે રહીશોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનું કહેવું હતું કે, બિલ્ડરે પાણીની લાઈન નાખી છે પરંતુ હાલમાં તેના નાણા ભર્યાની રસીદ કોર્પોરેશને આપી છે. બોરમાંથી આવતું પાણી 6000 ટીડીએસનું છે. અને કોર્પોરેટર દ્વારા ટેન્કરથી પાણી અપાતું હતું પરંતુ હવે તે પણ બંધ થયું છે. જેથી આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં વોટિંગ નહીં કરી બહિષ્કાર કરીશું. 3 માસથી પાણીની લાઈન લીકેજ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા ફરિયાદ કરતા સમારકામ શરૂ કરાયુંવોર્ડ-1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, ફતેગંજ પોલીસ મથકની બાજુમાં પ્રાર્થના ફ્લેટ પાસે ત્રણ મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હતું. આમ તો, કેબલ નાખવાની કંપની અનેક રોડ તોડે છે અને કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ પાણી લાઈનના સમારકામ માટે રોડ ખોદતા ન હતા. જેથી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું છે અને લાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ શરૂ કર્યું છે.
શહેરમાં કેટલાક મહિનાથી ઝાડમાં આગ લાગવાની ઘટના બની રહી છે. બુધવારે રાત્રે ગોત્રી તળાવમાં પારેશ્વર મંદિર સામેના વૃક્ષમાં આગ લાગી હતી. સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ આ વૃક્ષ થડના ભાગેથી સૂકું ભઠ્ઠ હતું. રાત્રે 10 વાગ્યાના સુમારે એક વ્યક્તિએ વૃક્ષ નીચે શ્રદ્ધાપૂર્વક અગરબત્તી કરી હતી. તે પછી રાત્રે અઢી વાગ્યાના સુમારે ઝાડ ભડકે બળ્યું હતું. આ અંગે કરાતાં ફાયરબ્રિગેડે ઝાડ નીચેથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી ભયંકર હતી કે, નીચેથી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ ઉપરના ભાગેથી આગ ભભૂકતી રહેતી હતી. જેથી સ્થાનિકોએ ઝાડની ઉપરના ભાગેથી પાણી છાંટવાં કહ્યું હતું. આગને પગલે લોકો ભેગા થઇ ગયા હતા. અટલાદરા ડામર પ્લાન્ટના કચરામાં આગગોત્રીના અટલાદરા ડામર પ્લાન્ટ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસેના કચરામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ લાગતાં પ્લાન્ટના સિક્યુરિટીએ ફાયરબ્રિગેડને જાણ કરતાં લાશ્કરોએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. વૃક્ષ નીચે અગરબત્તી કરવાનું ટાળવું જોઈએઅગરબત્તીની આગ નાની હોય છે. તે સૂકા લાકડાના સંપર્કમાં આવે અને ધીમો ધીમો પવન મળતો રહે તો ગરમી વધે છે. આ આગના સંપર્કમાં જ્વલનશીલ વાયુ ક્ષણવાર માટે આવે તો આગ ભભૂકી ઊઠે છે. જોકે એવા વાયુનું સંપર્કમાં આવવું અનિવાર્ય નથી. 2016માં બોટની વિભાગની પાછળ આગ ભભૂકી હતી. ઘટનાના બે દિવસ પૂર્વે માળીએ ધુમાડો જોયો હતો. વૃક્ષ નીચે અગરબત્તી કરવી ટાળવી જોઇએ. > પ્રો.અરુણ આર્ય, વનસ્પતિ શાસ્ત્રી
સિલિન્ડરના સંકટની અસર:ગેસ લાઇનની માગમાં ત્રણ ગણો વધારો, રોજની 9ને બદલે હવે 30 અરજી
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ઘરગથ્થુ ગેસ પર પડી છે. ગેસના બોટલની તંગીની ભીતિથી લોકોએ લાંબી લાઈનો લગાવી રહ્યા છે. બોટલ મળતાં લોકો ગેસ લાઇન નખાવવા દોડધામ કરી છે. જેમાં 1 સપ્તાહમાં ગેસ લાઈનની માગ ત્રણ ગણી વધી છે. ગેસ કંપનીનાં સૂત્રો મુજબ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન ઘરગથ્થુ ગેસ માટે રોજ 9થી 12 અરજી આવતી હતી. જોકે યુદ્ધની સ્થિતિમાં 25થી 30 અરજી મળી રહી છે. કોમર્શિયલ ગેસના બોટલ મળવાના બંધ થયા હોવાથી અનેક મેન્યુફેક્ચરિંગ એકમો-રેસ્ટોરન્ટો બંધ થવાની તૈયારીમાં છે. ત્યારે એક અઠવાડિયામાં કોમર્શિયલ ગેસ જોડાણ માટે 21 વેપારીએ પૂછપરછ કરી છે. એક સપ્તાહ પહેલાં માત્ર 6 વેપારીઓએ પૃચ્છા કરી હતી. ગેસ સંકટની અસર શહેરની આસપાસ ઔદ્યોગિક વસાહતો પણ પડી છે. જેમાં અઠવાડિયામાં 3 ઇન્કવાયરી આવતી હતી, જે વધીને 10 પર પહોંચી છે. ખાનગી યુનિ.ની હોસ્ટેલમાં ગેસની અછત, 25 હજાર વિદ્યાર્થી પરેશાન સિલિન્ડર લેવા સતત બીજા દિવસ કતારો, ભારત ગેસ એજન્સીની બહાર લાઇનમાં ઊભેલી મહિલા ઢળી પડી એજન્સીઓમાં બીજા દિવસે બોટલ લેવા કતારો લાગી હતી. કેટલીક એજન્સી દ્વારા ઓનલાઈન બુકિંગ ન કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. તંત્રના જણાવ્યા મુજબ લોકો પેનિકમાં આવી સિલિન્ડર લેવા એજન્સી પર પહોંચી રહ્યા છે. જોકે લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ. સામાન્ય દિવસોમાં રોજ 8 હજાર બુકિંગ આવે છે, તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફીલ કરાય છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાથી બુકિંગ વધી 12 હજાર થયું છે. બીજી તરફ મ.સ. યુનિ.ની હોસ્ટેલોમાં પાઇપથી ગેસનો સપ્લાય કરાય છે. જેથી હાલ અસર જોવા મળી રહી છે. જોકે શહેર નજીકની ખાનગી યુનિ.માં ગેસની અછતથી વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાનગી યુનિવર્સિટીમાં 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેસ તથા કેન્ટીનના ભરોસે છે. પાણીગેટની એજન્સી બહાર ઢળી પડેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ ગેસ એજન્સીઓ બહાર સિલિન્ડર માટે લાઈનો પડી રહી છે. લોકો સિલિન્ડર નોંધાવવા અને લેવા પડાપડી કરી રહ્યા છે. ગુરુવારે પાણીગેટની ભારત ગેસ એજન્સીમાં સિલિન્ડર લેવા લાઈનમાં ઊભેલી મહિલા ઢળી પડી હતી, જેને લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. લોકોએ ઇન્ડક્શન અને ચૂલાની પણ વ્યવસ્થા કરીયુદ્ધ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. જોકે લોકોને ઘરેલુ સિલિન્ડર પણ નહીં મળે તેવી ચિંતા છે. તેવામાં લોકોએ ઈલેક્ટ્રિક સગડી તેમજ ઈન્ડક્શનની ખરીદી પણ રાખી છે. ઉપરાંત ચૂલાની સગવડ કરી રાખી છે. જેના માટે ચાર દરવાજા વિસ્તારમાંથી લોખંડના ચૂલાની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સિલિન્ડરોનાં કાળાં બજાર ન થાય તેનું ધ્યાન રખાય છેવડોદરા શહેરમાં 6 ઝોનલ અને પુરવઠા વિભાગની ટીમ તેમજ તાલુકા લેવલે 2-2 મામલતદારોની ટીમ કામે લાગી છે. જેમાં સિલિન્ડરમાં કાળાબજાર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે એજન્સીઓ સાથે પણ સંકલન રાખવામાં આવી રહ્યું છે. — ગીતા દેસાઈ, પુરવઠા અધિકારી સિલિન્ડરનું મોનિટરિંગબરોડા મેડિકલ કોલેજ અને ગોત્રી જીએમઈઆરએસની હોસ્ટેલમાં ગુરુવારે સિલિન્ડરને લઈ મોનિટરિંગ થઇ રહ્યું છે. બરોડા મેડિકલ કોલેજમાં ભીતિ સર્જાઈ હતી કે, ટૂંક સમયમાં હોસ્ટેલમાં સિલિન્ડર ખૂટી પડશે. મેસ સંચાલકોને સિલિન્ડર મળી નથી રહ્યા. એક તબક્કે મેસ સંચાલકોએ તંત્ર સમક્ષ ઇન્ડક્શન સગડી ચલાવવા રજૂઆત કરતાં તંત્રે પરવાનગી પણ આપી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, મેસ સંચાલકના કરારમાં ઈન્ડક્શન સગડી પર જમવાનું બનાવવા પર પાબંદી મૂકાઈ છે. આખરે મોડી સાંજે સિલિન્ડરનો સ્ટોક આવી જતાં રાહત થઈ હતી. બીજી બાજુ ગોત્રી જીએમઈઆરએસ હોસ્ટેલની મેસમાં દિવસમાં 2 વાર મોનિટરિંગ કરાય છે. જેમાં સિલિન્ડરના સ્ટોકની માહિતી લેવાય છે.
શહેરમાં 3 દિવસથી પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે રોડ પરનો ડામર પીગળતાં વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે. પાલિકાની બેઠકમાં રોડ પર ડામર પીગળવાની ઘટનામાં મ્યુનિ. કમિશનરે ગંભીરતા દાખવી છે. ઝોનના અધિકારીઓને રોડ પર ફરવા સાથે રેતીનો છંટકાવ કરવા અને કોન્ટ્રાક્ટરો સામે પેનલ્ટી વસૂલવા સુધીની કાર્યવાહી કરવા સૂચના આપી છે. શહેરમાં તાપમાનમાં એકાએક વધારો થતાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેની અસર હલકી ગુણવત્તાના રોડ પર પડી રહી છે. અનેક રોડ પર ડામર પીગળી જવાની ઘટના બાદ મ્યુનિ. કમિશનરે પણ પેનલ્ટી ફટકારવા સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પણ નવાયાર્ડ અને અટલાદરા-કલાલી રોડ પર ડામર પીગળી જવાની ઘટના બની હતી. જેમાં માત્ર રેતી નાખી ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. પાલિકામાં મળેલી રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રોડ પર ડામર પીગળવાની ઘટનાને ગંભીર ગણાવી હતી. તેઓએ અધિકારીઓને ફીલ્ડમાં જઈ રોડનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તદુપરાંત જો ડામર પીગળે તો તેના પર રેતી છંટાવવા અને હલકી કક્ષાની કામગીરી હોય તો કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા તાકીદ કરી છે. પાલિકા દ્વારા 100 રોડ પૈકી 56 રોડની સફાઈ કરાઈપાલિકાની રિવ્યૂ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી એક મહિનામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને 12.50 કરોડ લિટર પાણી મળે તેની ચિંતા કરાઈ હતી. આ સિવાય 100 દિવસ-100 રોડની સફાઈ અભિયાન અંતર્ગત 56 રોડની સફાઈ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં વારંવાર રોડની સફાઈ કરવામાં આવશે. રિવ્યૂ બેઠકમાં વિશ્વામિત્રી નદી, સફારી પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 20 મુદ્દા પર ચર્ચા કરાઈરિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભવિષ્યમાં થનારા કામ અંગે ચર્ચા કરી હતી. તદુપરાંત આજવા સફારી પાર્ક, હાઈસ્પીડ રેલવે કોરિડોર વિસ્તારને ડેવલપ કરવાના, લિનિયર પાર્ક, એરપોર્ટ રોડ વિકસાવવો, સિટીનો માસ્ટર પ્લાન, 6 ટ્રાફિક કોરિડોર, કમાટીબાગ પ્લેનેટોરિયમને શરૂ કરવા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલ બનાવવા સહિત 20 કામો પર ચર્ચા કરાઈ છે.
રાજ્ય સરકારે એઆઇ બેઝ આરટીઓ ટેસ્ટ ટ્રેક શરૂ કરવા કવાયત કરી છે. બીજી બાજુ વડોદરાની નજીકનાં તમામ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક કાર્યરત કરાયાં છે. જેથી આરટીઓ એજન્ટોનો ઘરે બેઠાં લાઇસન્સ કઢાવી આપવાનો ગોરખધંધો બંધ થયો છે. ટેસ્ટ ટ્રેક ન હોય તેવા આરટીઓમાં વડોદરાના લોકો પાસેથી લાઇસન્સ કઢાવી આપી 10 થી 15 હજાર પડાવાતા હતા, જે હવે બંધ થયું છે. વડોદરાથી બે મહિનામાં આણંદ, ગોધરા અને છોટાઉદેપુરમાં લર્નિંગ લાઇસન્સ કઢાવનારા 2 હજાર લોકો અટવાયા છે. હવે ટેસ્ટ ટ્રેક કાર્યરત થતાં લર્નિંગ લાઇસન્સ પૂરું થાય ત્યાં સુધી રાહ જોયા બાદ 6 મહિને ફરી વડોદરામાં લર્નિંગ લાઇસન્સ કઢાવી અત્રે ટેસ્ટ આપવો પડશે. અગાઉના આરટીઓમાં ટેસ્ટ આપે અને વારંવાર નાપાસ થાય તો દૂર સુધી ધક્કો ખાવો પડે. બીજી તરફ વડોદરા આરટીઓમાં ટેસ્ટ આપનારાની સંખ્યા પણ વધી છે. એક મહિલાએ 5 ટેસ્ટ આપ્યા છતાં નાપાસ થઈવડોદરાથી અન્ય આરટીઓમાં લાઇસન્સ કઢાવનારા 2 હજાર લોકો અટવાયા છે. અત્રે આજે ટેસ્ટ આપનાર સુરક્ષા એજન્સીની એક મહિલા 5 વાર ટેસ્ટ આપવા છતાં પાસ થઇ નથી. > પી.જે. પંચાલ, હનુમંત ઓટો એડવાઇઝર એજન્સી ઉમેદવારોની ચાલાકી બંધ કરવા ટેસ્ટ ટ્રેક શરૂ કર્યાટેસ્ટ ટ્રેક ન હોય ત્યાંથી લાઇસન્સ કઢાવવાની પ્રવૃત્તિ બંધ થાય તે માટે સરકારે ટ્રેક શરૂ કર્યા છે. ટેસ્ટ આપનારા 10 ટકા વધ્યા છે. > કેતન ખપેડ, આરટીઓ, વડોદરા વડોદરામાં ટેસ્ટ આપનાર 60 ટકા મહિલા નાપાસ થાય છેવડોદરા આરટીઓમાં ટેસ્ટ આપનાર ઉમેદવારો પૈકી 60 ટકા મહિલા નાપાસ થાય છે. આરટીઓ કન્સલ્ટન્ટે જણાવ્યા મુજબ જે મહિલાની ટ્રેક પાસ કરવાની ક્ષમતા હોતી નથી, તે ટ્રેક ન હોય ત્યાં લાઇસન્સ કઢાવાનું પસંદ કરતી હતી. હવું આવું નહીં થઈ શકે.
બોર્ડની પરીક્ષા:મોરબી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય, વિજ્ઞાન પ્રવાહમાં 20 છાત્ર ગેરહાજર
રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં ધોરણ 12ના વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયનું પેપર લેવાયું હતું જેમાં કુલ 4,043 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,027 વિદ્યાર્થી હાજર રહ્યા હતા ત્યારે 16 વિદ્યાર્થી ગેરહાજર હતા. અંગ્રેજી માધ્યમમાં 166 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આમ કુલ 4,209 વિદ્યાર્થીમાંથી 16 વિદ્યાર્થી ગેરહાજર અને 4,193 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં આજે ગુજરાતી વિષયનું અને સંસ્કૃત વિષયનું પણ પેપર આજે લેવાયું હતું, જેમાં ગુજરાતી ભાષામાં કુલ 244 વિદ્યાર્થીમાંથી 241 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, ત્યારે સંસ્કૃત વિષયમાં 1480 વિદ્યાર્થીમાંથી 1479 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે અણબનાવે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખા પરિવારમાં બઘડાટી બોલી ગયાની ઘટના સામે આવી છે. જેમાં પરણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરાએ લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી, માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી. સામાપક્ષે પુત્રવધુએ સસરાને રસોઈ બનાવવાની તપેલી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા, મજૂરી કામ કરતા મનિષાબેન ડાભી (ઉ.વ.30) નામના પરિણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ સામે આરોપીઓએ ફરિયાદ નોંધાવી હતી કે, પતિ સહિતના સાસરિયાઓએ પરિણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.60) એ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને પુત્રવધુએ સસરાને મન ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી. આથી પોલીસે આ ઘરેલુ હિંસાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ
મોરબીના ઘુનડા રોડ પર આવેલા વૈદેહી ફાર્મ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં સામેથી આવતી કારના ચાલકે એક રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આસપાસ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. ઘટનાની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે અને ફરાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબીના સજનપર રોડ પર રહેતો પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક વિક્રમ અબ્રાહમ ભરવાડિયા (ઉ.વ. 20), માયા અર્જુન ભરવાડિયા (ઉ.વ. 22), જાગુ અર્જુન ભરવાડિયા (ઉ.વ. 2) અને માત્ર 4 મહિનાના માસૂમ રાજ અર્જુન ભરવાડિયાને ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોરબીના ચામુંડાનગરમાં રહેતા સામાન્ય વર્ગના ચાવડા સુરેશભાઈ રામજીભાઈની પુત્રી હર્ષાબેન કુલદીપભાઈ રાઠોડનો મહિલા દિવસે જન્મદિવસ હોવાથી નારી શક્તિ વિશે સમાજને વિસ્તૃત જ્ઞાન આપવા પ્રેમાળ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા સત્સંગસભાનું આયોજન કરાયું હતું. સત્સંગ સભામાં પીપળીમાં આવેલ કિરણ આશ્રમના સંત કિરણબેને પરમ આધ્યાત્મિક વાણીની સાથે કુટુંબ, સમાજ અને દેશમાં નારી યોગદાનની વાત કરી સિક્કાની બે બાજુની જેમ પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીનું હિત અને સ્વમાન જળવાતું ન હોય તો બીજી તરફ કેટલીક સ્ત્રીઓના અહંકારથી આખા ઘરનું સુખ હણાય જતું હોય અને કુટુંબ ક્લેશમાં મોટાભાગે સાસુ, વહુ, નંણદ ભોજાઈ સહિતની ઘરની સ્ત્રીઓના એકબીજાના વર્ચસ્વ અને સ્વમાનનો પ્રશ્ન જવાબદાર હોય છે. એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય દરેક સ્ત્રીને સમજણ કેળવવાની શીખ આપી હતી. આ તકે હર્ષાબેને કહ્યું હતું કે, મારા પિતા સુરેશભાઈએ સામાન્ય આવકમાં પણ સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સંસ્કાર સાથે જીવનનું ઘડતર કરી સાસરે વળાવી હતી. સાસુ-સસરાને માબાપ સમજીને એમની સેવામાં તારું જીવન અર્પણ કરી દેજે અને એમની લાગણી ક્યારેય દુભાય એવી વાણી કે વર્તન કરીશ નહિ. સત્સંગ સભામાં શ્રાવકોને સંત કિરણબેને આધ્યાત્મિક વાણી પીરસી હતી. રવિ બરાસરા
ઈરાન - ઇઝરાયેલ અમેરિકા યુદ્ધની અસરને પગલે અચાનક પ્રોપેન ગેસનો પુરવઠો મળતો બંધ થતા હવે મોટાપાયે ફેકટરીઓમાં શટ ડાઉન થઇ ગયું છે અને જે ફેક્ટરી પાસે ગેસનો જથ્થો જેટલો ઉપલબ્ધ છે તેટલા સમય સુધી ફેક્ટરી ચાલુ રાખશે. જેના કારણે આ સપ્તાહ બાદ મોટાભાગની ફેક્ટરી બંધ થવાની તૈયારી છે. આજની સ્થિતિએ 400થી વધુ એકમ બંધ થઇ જતા હવે મજૂરો માટે રોજગારીનો પ્રશ્ન સર્જાઈ શકે છે. બીજી તરફ મોટા ભાગના શ્રમિકો ખાનગી કમ્પનીના ગેસ સીલીન્ડરનો ઉપયોગથી રસોઈ કરતા હોય છે. ગેસના વધતા ભાવને પગલે તેમની રોજીંદા ખર્ચમાં પણ ઝડપથી ઉછાળો આવે તેવી શક્યતા છે અને ફેકટરીઓ કેટલો સમય બંધ રહેશે તેની પણ કોઈ સમય મર્યાદા નથી આવી સ્થિતિમાં હવે મજૂરો ફેકટરીઓમાં તેમના વતન તરફ વાટ પકડી રહ્યા છે. ખાસ કરીને યુ પી, બિહાર,એમપી રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકો રેલ્વે સ્ટેશનમાં તેમના વતની ટ્રેનના બુકિંગ માટે આવી રહ્યા છે. મોરબી રેલ્વે સ્ટેશનમાં ચાલુ સપ્તાહમાં દૈનિક 300થી વધુ ટીકીટનું એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે અગાઉ આ આંકડો 150ની આસપાસ હતો આવી સ્થિતિ નઝરબાગ મકનસર તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં પણ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે મજૂરો ઝડપથી પોતાના વતનની ટ્રેનની ટીકીટની ખરીદી માટે આવી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ફરી શ્રમિકોનું પલાયન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત મોરબીના ઔદ્યોગિક વિસ્તારના મજૂરોને એમપી યુપી કે રાજસ્થાન તરફ લઇ જતી બસમાં પણ વતન તરફ જતા મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મોરબીના સિરામીક ઉદ્યોગકારો તો શ્રમિકોને આવનાર સમય સાચવવા તૈયારી દાખવી રહ્યા છે પરંતુ ફેક્ટરી કેટલો સમય બંધ રહેશે તેનો અંદાજ નથી આવી સ્થિતિમાં ફેક્ટરી સંચાલકો પણ ક્યાં સુધી સાચવશે તેવા ભયથી મજૂરો વતન તરફની વાટ પકડી રહ્યા છે. ટિકિટ લેવા આવ્યા છીએ હવે ઘરે જવાની તૈયારીમારું નામ શ્રવણ કુમાર સોની નામ છે અમે યુપીના વતની છીએ અમે રેલ્વે સ્ટેશનમાં ટીકીટ લેવા આવ્યા છીએ અત્યાર સુધી બરાબર ચાલતું હતું જોકે ફેક્ટરી બંધ થવાથી હવે ઘરે તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ ટીકીટ લેવા આવ્યા છીએ ફેક્ટરી બંધ થવાથી અહી અમે ઘરે જઈ છીએ. મોરબીથી ટ્રેન નહીં વાંકાનેર, રાજકોટથી બુકિંગ મોરબીમાં લાંબા અંતરની ટ્રેન ન હોવાથી મોટા ભાગના શ્રમિકો રાજકોટ અથવા વાંકાનેરનું તેમજ રાજસ્થાનના શ્રમિકો માળિયા કે હળવદ રેલ્વે સ્ટેશન ટ્રેન પકડવા અહીંથી બુકિંગ કરે છે.
બબાલ થઈ:વાંકાનેર જમાતખાનામાં જમવા મુદ્દે માથાકૂટ, યુવક પર હુમલો
વાંકાનેર શહેરમાં વોરા સમાજના જમાતખાનામાં જમવા બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે શખ્સોએ યુવકની દાઢી ખેંચી, આંગળીમાં બચકું ભર્યું અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર યુવકે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પવિત્ર રમઝાન મહિના દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે હુસેનભાઈ મહંમદહુસેન વેદ જમાતખાનામાં જમવા ગયા હતા. તે સમયે જમવા બેસવાની બાબતે ત્યાં હાજર મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જતા હુસેનભાઈ સાથે મારામારી કરી હતી. આરોપીઓએ ફરિયાદીની દાઢી ખેંચી હતી તેમજ તેમની આંગળીમાં બચકું ભર્યું હતું. વધુમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હુસેનભાઈ વેદે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરતજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં
મોરબીમાં હમણાં જ વીજતંત્રએ લાંબા સમયથી વીજ બિલ ભરવામાં નાદારી કરતા બાકીદારોને વીજ જોડાણ કટની નોટિસ ફટકારી વીજબીલની આકરી વસુલાત કરી હતી અને ઘણાના વીજ જોડાણ કટ પણ કરી નાખ્યા હતા. તેવી રીતે નગરપાલિકા વખતથી મનપા સુધી મોટી રકમનું વીજ બિલ બાકી હોવાથી મનપાને પણ વીજતંત્રએ નોટિસ ફટકારી હતી. પણ તંત્રએ વીજ જોડાણ કટ ન કરતા કોંગ્રેસે ભારે કાગારોળ મચાવી વીજતંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. આથી શરમમાં મુકાતા જવાબદારીનું ભાન થતા મનપાએ રાતોરાત લાંબા સમયથી રૂ.16.33 કરોડના બાકી બિલ ભરીને સિંહ માર્યો હોય તેવું જાહેર કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના પીજીવીસીએલના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે. શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે મનપા બન્યાને પણ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને પાલિકા વખતના બીલ બાકી હતા તો અત્યાર સુધી તંત્રએ ચલાવી કેમ લીધુંં?! આ મામલે શહેરમાં ચર્ચા ઉઠી છે કે સામાન્ય ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતી વીજ કંપનીએ મનપા સામે લાંબા સમય સુધી શા માટે નરમ વલણ દાખવ્યું તેની પણ તપાસ થવી જોઈએ.
હીટવેવના લીધે નાગરિકોના હિતમાં નિર્ણય:જનસેવા, આધાર કેન્દ્રો હવે 2 સત્રમાં, બપોરે 1થી 4 કામગીરી બંધ
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા તાપમાન અને હવામાન વિભાગની હીટવેવની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તમામ જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો અને બેંક-પોસ્ટના આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે હવે આ કેન્દ્રો પર બપોરના સમયે કામગીરી સ્થગિત રાખી, સવાર અને સાંજ એમ બે પાળીમાં અરજદારોનું કામ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાના આરંભ થઈ ગયો છે. સાથે હાલ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને, નાગરિકોને હીટવેવની વિપરિત અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રો સવારના 10-30થી સાંજના 6-10 કલાક સુધી કાર્યરત રહેતા હતા, પરંતુ હવે હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આ બધા જ કેન્દ્રો 2 સત્રમાં ચાલશે. જેમાં બપોરે 1થી 4 સુધી કામગીરી બંધ રહેશે. નવો સમય પત્રક 31-5 સુધી રહેશે નવા નક્કી કરાયેલા સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે 9થી બપોરે 1 કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી 4થી સાંજના 6 કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે 1થી 4 દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે. જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય. આ નવા સમયપત્રકની અમલવારી તા.13-3-2026થી શરૂ થઈને તા.31-5-2026 સુધી અમલમાં રહેશે - કે.આર. પટેલ, નિવાસી અધિક કલેક્ટર
મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધની સ્થિતિને લઇ હાલ ગેસના સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ ઘરેલુ ગેસના 14 કિલોના 60, કોમર્શિયલના 19 કિલોના 100 અને 5 કિલો કોમર્શિયલમાં રૂ. 28નો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને 3.20 લાખ ઘર વપરશ અને 50 હજાર કોમર્શિયલ ગેસ બાટલાનું વેચાણ થતું હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે દર મહિને 6.50 કરોડનું ભારણ વધે તેમ છે. મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધને પગલે કોમર્શિયલ ગેસના સપ્લાય પર કાપની અસર વર્તાઈ રહી છે. જેને પગલે ઘરેલુ ગેસના ભાવમાં થોડા સમયમાં રૂ.60ના ભાવ વધારા સાથે 14 કિલો બાટલાના 919 થયા જ્યોર કોમર્શિયલમાં 19 કિલોના બાટલામાં રૂ.100 વધારા સાથે 1944 અને કોમર્શિયલ ગેસના 5 કિલોના રૂ. 28ના વધારા સાથે 553 ભાવ થયો છે. જેમાં જિલ્લામાં મહિને 3.20 લાખ ઘેરલુ વપરશ અને 50 હજાર કોમર્શિયલ બાટલાની જરૂર હોય છે. 5 વર્ષમાં ઘરેલુ, કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં અનેક ફેરફાર
સુરેન્દ્રનગર શહેરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક વિચારધારા અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય સાયન્સ ફેર અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તાજેતરમાં સરદાર પટેલ વિદ્યાલય ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં તા.1-3-2026ને રવિવારના રોજ ભવ્ય સાયન્સ ફેર અને વેસ્ટમાંથી બેસ્ટ સર્જનનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. જેમાં ધો.-1 થી 4 ના બાળકોને વેસ્ટેજ વસ્તુઓમાંથી ફુલદાની, સસલા ગાડી, ચકલી ઘર, કાર્ડબોર્ડ, ઝુમ્મર, બાસ્કેટ, ઘર, લગ્નની છાબ ટ્રે, એ.ટી.એમ., વોલપીસ, ફોટોફ્રેમ જેવી અનેક સુંદર, આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ બનાવી હતી. ધો. 5 થી 9 અને 11ના વિધાર્થીઓએ રોબોટિક પ્રોજેક્ટ, વિદ્યુત અંગેના પ્રોજેક્ટ, કાળ ગણના, વ્યાકરણ, ભાષા, સ્વચ્છતા, સ્માર્ટ સીટી, પવનચક્કી, ગણિત કોયડાઓ, પાણી શુદ્ધિકરણ, કુલર, સોલાર પ્રોજેક્ટ, ટ્રાફિક સોલ્યૂશન, માનવ શરીરની કામગીરી, થ્રિડી પ્રોજેક્ટ, ડાર્કરૂમ પ્રોજેક્ટ, બાયોગેસ, એલાર્મ, ગ્લોબલ વોર્મિંગ, ચંદ્રયાન જેવા રોબોટિક, સાયન્સ, મેથ્સ અને ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેને નિહાળવા માટે સવારે 8 થી બપોરે 12.30 સુધી વાલીઓ, શહેરના વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી હતી. સરદાર પટેલ વિદ્યાલય પ્રતિવર્ષ ભવ્ય સાયન્સ ફેર યોજે છે અને બાળકોની સર્જન કલા અને વૈજ્ઞાનિક વિચાર શક્તિને બિરદાવતા તમામ બાળકોનું શીલ્ડથી સન્માન કરાયુ હતું.
ઇમાનદારીના દર્શન થયા:સુરેન્દ્રનગરની મહિલાએ મળેલું સોનાનું મંગળસૂત્ર પરત કર્યુ
સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને બે તોલાનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપાયુ હતું.
સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા:જોરાવનગરના સમૂહ લગ્નમાં 6 નવદંપતીના પ્રભુતામાં પગલાં
સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, જોરાવનગર દ્વારા 27માં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ હતું. આ પ્રસંગે 6 નવદંપતીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. 27 વર્ષથી સતત ચાલતી આ પરંપરાએ સમાજમાં આર્થિક બચત અને સાદગીનો પ્રેરણાદાયી સંદેશ વહેતો કર્યો છે. સેવાકીય પરંપરાના 27 વર્ષ પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં કુલ 290 નવદંપતી જોડાયા છે. આ અવસરે નાયબ મુખ્ય દંડક વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા જ્ઞાતિ મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન પદે છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા પરિવારે સેવા આપી દીકરીઓને ભેટ અર્પણ કરી હતી. ઉદારદિલ દાતાઓ દ્વારા દીકરીઓને ઘરવખરી સહિતનો સંપૂર્ણ કરિયાવર ભેટમાં આપવામાં આવ્યો હતો. જોરાવનગર સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળે 27 વર્ષમાં કુલ 290 નવદંપતીઓના સમૂહ લગ્ન કરાવી મંડળે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાષ્ટ્રીય શાયરને સ્વરાંજલિ અપાઈ:પાંચાળની પાવન ધરા પર ભક્તિ તેમજ લોક સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં પ્રારંભ થયો છે. ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓ વચ્ચે પાંચાળની ધરા ગુંજી ઉઠી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ પર આયોજિત આ કાર્યક્રમમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ચોટીલા ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી, જેમાં મોટી સંખ્યામાં ભકતો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી.આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ.યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા એ માત્ર શક્તિધામ તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હંમેશા કલાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણીફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, મેઘાણીજીના જીવન – કવન અને સાહિત્યને આધુનિક શૈલી થકી નવી પેઢીને પણ સરળતાથી આપણા ભવ્ય વારસા, દુહા - છંદ અને લોકસાહિત્યના ઇતિહાસ સાથે જોડવાનું ભગીરથ કાર્ય શક્ય બને છે. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો રજૂ કરાયો હતો, જેમાં આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર અપાયા હતા.આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા મંદિર મહંત લાલબાપુએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:હળવદ : બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1નું મોત
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇદ્રીશભાઈ રસુલભાઈ માણેકે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ ચાર રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીકથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ સાહેદ હમીરભાઇને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે કામગીરી શરૂ કરાઇ છે. ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં રખડતાં કૂતરાંઓ ઉપર અંકૂશ મેળવવા અમદાવાદની એજન્સીને સર્વે કામગીરી સોંપી છે. ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 1 મહિનામાં બે ઝોન પાડી સોફ્ટવેરની મદદથી તમામ વિગતો ડિજિટલ કરશે. જેમાં શ્વાનના લીંગ, તદુરસ્તી, ખોડખાપણ અને કદ સુધીની વિગત આવી જશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આથી અમદાવાદ સ્થિત અનુભવી અને એક્સપર્ટ ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડોગ્સની ગણતરી, તેમની સ્થિતિ અને સ્થળની માહિતી ડિજિટલ એપ અને જીઓ-મેપિંગ દ્વારા નોંધવામાં આવશે. આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અસરકારક આયોજન શક્ય બને.સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગોલ ફાઉન્ડેશન દ્વારા શહેરના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોના સહકારથી જ શહેરમાં રેબીસ નિયંત્રણ અને સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ સફળતાપૂર્વક અમલમાં આવી શકશે. ખસીકરણ બાદ 6 દિવસ ઓબઝર્વમાં રખાશેસોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીથી ડોગની સંપૂર્ણ વિગત આવી જશે. શ્વાનનો કુલ આંકડો મળી ગયા બાદ પાંજરાની વ્યવસ્થા કરાશે. ખસીકરણ કર્યા બાદ ડોગને 6 દિવસ ઓબઝર્વમાં રખાશે. ત્યારબાદ તે વિસ્તારમાં જ મુકત કરાશે. > ભાવિકભાઇ શાહ, ગોલ ફાઉન્ડેશન બાયોડેટાાં આ વિગતો હશે મહિને 425 ડોગબાઇટના કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ ઘણો છે. થોડા સમયમાં પહેલાં એક સાથે 40 લોકોને કરડવાનો બનાવ બન્યો હતો. આમ દર મહિને 425થી વધુ લોકોને કૂતરાં કરડે છે.
ફરિયાદ:અમરેલીમાં પતિએ કહ્યું નહીં કરતા પત્નીને લાફા ઝીંક્યા
અમરેલીના બટારવાડી વિસ્તારમાં પતિ દ્વારા પત્નીને માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈ કાલે સાંજે આશરે 5 વાગ્યાના સમયે અમરેલીના બટારવાડી વિસ્તારમાં રહેતી રેશમાબેન શકીલભાઈ ચૌહાણ (ઉ.વ.24)એ ફરિયાદ નોંધાવી હતી. કે, તેમના સાસુ દ્વારા તેમના વિરુદ્ધ અરજી કરાતા પોલીસે તેમને બોલાવ્યા હતા પરંતુ રેશમાબેન ત્યાં ન જતા તેમના પતિ શકીલ ઇકબાલભાઈ ચૌહાણ ઉશ્કેરાયા હતા, બાદ પત્નીએ ચીડવવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઈ જઈ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરેલી પોલીસે શકીલ ઇકબાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આયોજન:અમરેલીમાં એક સપ્તાહમાં રૂપિયા 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
અમરેલી જિલ્લામાં તા.1 માર્ચથી 8 માર્ચ દરમિયાન રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં થયેલા આ વિકાસકાર્યોમાં શિક્ષણ, વીજળી, પીવાનું પાણી, જળસંચય-સિંચાઈ, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ તથા પુર સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં અમરેલી શહેરમાં 124 વર્ષ જૂનો ગાયકવાડી શાસનકાળમાં નિર્મિત ઐતિહાસિક હેરિટેજ ક્લોક ટાવર શહેરની ઓળખ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે ક્લોક ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરની શોભામાં વધારો થશે અને ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ પણ થશે. અમરેલી જિલ્લાના વરસડા ખાતે રૂ.42 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે ગ્રામજનોને મોટી રાહત મળશે, સાથે જ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી વેકરીયાના હસ્તે નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક-4 હેઠળ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના અમલમાં આવતાં 200 હેક્ટર જેટલો ખેતી વિસ્તાર નર્મદાના પાણીથી લાભાન્વિત થશે, જેના કારણે ખેતી ઉત્પાદન વધશે, અમરેલી તાલુકાના ગામડાઓમાં કરોડોના ખર્ચે નવી પ્રાથમિક શાળાઓના પણ લોકાર્પણ કરાયા છે.
સાવરકુંડલાના દાધિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો ધ્રુવીકાબેન, ઇશીતાબેન, કિજલબેન, સંજયભાઈ વિગેરેએ પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ બાળકોને માહિતી આપી હતી. શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર દ્વારા બાળકોને કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના બાળકોએ તૈયારી કરી શાળામાં આવી પોતાની પાસે રહેલી વેસ્ટ વસ્તુઓ માંથી મોડીફિકેશન કરી વિવિધ આકર્ષક વસ્તુઓ બનાવી હતી. છેલ્લે શિક્ષકો દ્વારા બનેલા વિવિધ પ્રોજેક્ટ માંથી સૌથી સરસ ત્રણ પ્રોજેક્ટોને નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. દાધિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિનું આયોજન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રોજબરોજના ઉપયોગ પછી ફેંકાઈ જતી વસ્તુઓમાંથી ઉપયોગી અને સુંદર વસ્તુઓ બનાવી પોતાની સર્જનાત્મકતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક બોટલ, જૂના કાગળ, કાર્ડબોર્ડ, ટીનના ડબ્બા તેમજ અન્ય વેસ્ટ સામગ્રીમાંથી પેન સ્ટેન્ડ, ફૂલદાની, રમકડાં અને વિવિધ શૈક્ષણિક મોડલ તૈયાર કરવામાં આવ્યા હતાં.
ભૂલકા પર ખતરો:વડિયા સુરગપરામાં વર્ષોથી જર્જરિત જવાહર બાલમંદિરનું બિલ્ડીંગ પડું પડું
વડીયાના સુરગપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જવાહર બાલમંદિરની ઇમારત હાલ જર્જરિત અવસ્થામાં હોવા છતાં હજુ સુધી તોડી પાડવામાં આવી નથી. જેના કારણે નજીકમાં ચાલતી બે આંગણવાડીઓમાં આવતાં નાના બાળકો અને તેમના વાલીઓ માટે જોખમ ઊભું થયું છે. અમરેલીના વડીયા સુરગપરા વિસ્તારમાં આવેલું જવાહર બાલ મંદિરનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે. સુરગપરા વિસ્તારમાં આવેલી આ ઇમારત લાંબા સમયથી ઉપયોગ વગર પડી છે અને તેની હાલત અત્યંત જર્જરિત હોવાથી દીવાલોના પોપડા ખરી રહ્યા છે. આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ દરરોજ આ રસ્તેથી પસાર થતા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત જર્જરિત ઈમારત આસપાસ ગંદકી સર્જાય છે. ગંદકીના કારણે દુર્ગંધ ફેલાય છે. આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. સરપંચે જણાવ્યું હતું કે જોખમી હાલતમાં આવેલી આ ઈમારત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ આ જર્જરિત ઇમારતને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આસપાસ વધતી ગંદકી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.
આજે આખું ગુજરાત મેઘાણીમય છે:બગસરાની ભૂમિ ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ : મોરારિબાપુ
બગસરામાં માનસ મેઘાણી કથાના છઠ્ઠા દિવસે આખો પંથક મેઘાણીમય બન્યું હતું. આ પ્રસંગે રામકથામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. મોરારિબાપુએ જણાવ્યું કે અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ એવી બગસરાની પવિત્ર ભૂમિને તેઓ પ્રણામ કરે છે. બાપુએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ભાગ્યે જ એવી કોઈ રાત હશે. જ્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ ન થતું હોય, ભાગ્યે કોઈ રાત આવે ત્યારે કવિ કાગ અને દાદાનું સ્મરણ પણ જરૂર થાય છે. મેઘાણીજીના સાહિત્યનું મનોમંથન કોઈ સાધુએ કરવું જોઈએ તેવું પણ બાપુએ જણાવ્યું હતું. આજે નાનામાં નાનો માણસ પણ બગસરા તરફ નજર રાખે છે. જે દર્શાવે છે કે મેઘાણી સમગ્ર સમાજ માટે કેટલા પ્રિય છે. આજના સમયમાં આખું ગુજરાત મેઘાણીમય બન્યું છે. મેઘાણી પોતે એક એવા વિશાળ દરિયા જેવા છે જે દરિયાની અંદરથી મીઠી મીઠી વીરડી શોધી સમાજ સુધી પહોંચાડી છે.

34 C