હળવદના સરંભડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઈલમાં રિલ્સ જોતા અને કામમાં બેદરકારી દાખવતા 25 વર્ષીય યુવાન રવિ શંકર નાયકને તેની માતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતા યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ પટેલની વાડીએ મજૂરી કામ કરતા રવિ નાયકે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ માન્યા શંકર નાયક (ઉં.વ. 23) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, રવિ મોબાઈલમાં સતત રિલ્સ જોતા હતા અને મજૂરી કામમાં ધ્યાન આપતો ન હતો. આ બાબતે તેમની માતાએ તેમને ઠપકો આપ્યો હતો, જેના કારણે તેમને મનોમન લાગી આવતા તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્ય પદાર્થોના વેચાણનું દૂષણ વકરી રહ્યું છે. જનતાના આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાં રોકવામાં સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને એક પત્ર લખીને ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ઉગ્ર માગણી કરી છે. નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓનું ઝેર લોકોના પેટમાં!છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓના મોટા જથ્થા પકડાઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દરોડા ફૂડ વિભાગ દ્વારા નહીં, પરંતુ સુરત પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવી રહ્યા છે. કલ્પેશ બારોટે પોતાના પત્રમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, જે કામ ખરેખર મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું છે, તે કામ અત્યારે પોલીસ વિભાગે કરવું પડી રહ્યું છે. આ બાબત જ ફૂડ વિભાગના અધિકારીઓની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે. 'ચીફ ફૂડ ઇન્સ્પેક્ટરની ઘોર બેદરકારી ને ભેળસેળીયાએ બેફામ'આ વિવાદના કેન્દ્રમાં ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી રહી છે. કલ્પેશ બારોટે સીધો આક્ષેપ કર્યો છે કે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ અથવા તો તેમની ઘોર બેદરકારીને કારણે શહેરમાં ભેળસેળ કરનારા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. જ્યારે પોલીસ બાતમીના આધારે લાખો રૂપિયાનો નકલી મુદ્દામાલ ઝડપી પાડે છે, ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર નમૂના લેવા પૂરતા જ સ્થળ પર પહોંચે છે. પોતે સ્વતંત્ર રીતે કોઈ મોટી કામગીરી કરવામાં કે નેટવર્ક તોડવામાં નિષ્ફળ રહ્યા છે. 'ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા'પત્રમાં સુરત પોલીસ કમિશનર અને SOGની ટીમની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે. બારોટે લખ્યું છે કે, પોલીસ વિભાગ પોતાની મૂળભૂત જવાબદારીઓ ઉપરાંત નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે પણ સક્રિય છે, જ્યારે મનપાના ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. ફૂડ વિભાગના ઈન્સ્પેક્ટરો ફિલ્ડમાં જઈને ચેકિંગ કરવાને બદલે કેમ નિષ્ક્રિય છે, તે તપાસનો વિષય છે. ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માગકલ્પેશ બારોટે મનપા કમિશનરને ભૂતકાળની ઘટનાની યાદ અપાવતા જણાવ્યું કે, અગાઉ સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે ફરજમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્રએ ત્યારે જે રીતે કડક વલણ અપનાવ્યું હતું, તેવું જ વલણ અત્યારે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટ સામે પણ અપનાવવું જોઈએ. જો જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો નીચેના સ્તરના કર્મચારીઓમાં શિસ્તનો અભાવ રહેશે અને જનતાના સ્વાસ્થ્ય સાથે જોખમ વધતું જશે.
ગુજરાત સરકાર અને Pidilite Industries વચ્ચે થયેલા મહત્વપૂર્ણ પાયલોટ પ્રોજેક્ટના MOU હવે જમીની સ્તરે રંગ લાવી રહ્યા છે. મહુવા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત રાખવાને બદલે આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ માટે એક સુંદર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં છુપાયેલી સર્જનાત્મકતા અને પ્રાયોગિક કૌશલ્યોને બહાર લાવવાનો છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓથી આત્મવિશ્વાસમાં વધારોઆ નવીન પ્રયોગ અંતર્ગત મહુવાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને કલાત્મક ચીજવસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં માત્ર કલ્પનાશક્તિ જ નહીં, પરંતુ પરસ્પર સહકાર અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ વિકસી રહ્યા છે. જ્યારે બાળકો પોતાના હાથે નવી વસ્તુઓનું નિર્માણ કરે છે, ત્યારે તેમની શીખવાની પ્રક્રિયા વધુ આનંદદાયક અને રસપ્રદ બને છે. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનનું માર્ગદર્શનઆ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવામાં Triveni Kalyan Foundationની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. સંસ્થાના કુશળ વોલેન્ટિયરો દરેક શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. આ આયોજનબદ્ધ તાલીમને કારણે શિક્ષકોને પણ નવીન શૈક્ષણિક પદ્ધતિઓ જાણવા મળી છે, જે લાંબે ગાળે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવશે. કુંભણ કન્યા શાળામાં કૅન્ડી સ્ટીકમાંથી બની ફોટો ફ્રેમઆ અભિયાનના ભાગરૂપે તા. 14-03-2026ના રોજ મહુવા તાલુકાની કુંભણ કન્યા શાળામાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકાસભાઈ દ્વારા વિદ્યાર્થીઓને કૅન્ડી સ્ટીકનો ઉપયોગ કરીને આકર્ષક ફોટો ફ્રેમ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. દીકરીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. નકામી લાગતી વસ્તુઓમાંથી કંઈક નવું અને સુંદર બનાવવાની આ કળા શીખીને વિદ્યાર્થીઓના ચહેરા પર ગૌરવ અને ખુશી જોવા મળી હતી. આભારની લાગણી અને ઉજ્જવળ ભવિષ્યરાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રયોગની સફળતાની નોંધ લેવામાં આવી છે. આ પ્રકારના નવતર પ્રયોગોથી શિક્ષણ જગતમાં એક નવી દિશા ખૂલી છે. આ સફળ આયોજન બદલ મહુવા શિક્ષણ વિભાગે ગુજરાત સરકાર, Pidilite Industries અને Triveni Kalyan Foundationનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે માલવાહક વાહન અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. પૂરપાટ ઝડપે આવતા માલવાહક વાહને ઇકો કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈકોને સુઝુકીએ ટક્કર મારીજામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રહેવાસી ઋષિકેશ મહેશ જોશી પોતાની ઇકો કાર (DD-01-C-6007) માં માતા ગૌરીબેન (50) અને ભાભી ક્રિષ્નાબેન (30) સાથે મોટી ગોપથી જામનગર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ચંગા ગામના પાટીયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી સુઝુકી કેરી માલવાહક ગાડી (GJ-10-TY-1977) ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. કારનો કચ્ચરઘાણ વળ્યોટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કાર માર્ગ પર જ પડીકું વળી ગઈ હતી અને માલવાહક વાહન કાર સાથે અથડાયા બાદ નજીકના વીજપોલ સાથે ટકરાયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઋષિકેશ, ગૌરીબેન અને ક્રિષ્નાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહીઆ બનાવ અંગે ઋષિકેશ જોશીએ માલવાહક વાહનના ચાલક વિરુદ્ધ પંચકોશી B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ અને વોન્ટેડ રીઢો આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી (શિકલીગર), (ઉંમર 24, રહે. મહાકાળીનગર, વિશ્વામિત્રી બ્રિજ નીચે વડોદરા)ની ધરપકડ કરી છે. આ આરોપી અગાઉ વડોદરામાં 16 ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે. એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયોક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં મોપેડ લઈને જતા આરોપીને ઝડપી પૂછપરછ કરી હતી. દરમ્યાન તેની પાસેથી ચાંદીનું એક બિસ્કીટ-એક સિક્કો (કુલ રૂ. 28600), રોકડ રૂ. 23500, વિવો મોબાઇલ (રૂ. 5000) તથા મોટરસાયકલ (રૂ.50000) સહિત કુલ રૂ. 107100નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીએ બે ઘરફોડ ચોરીની કબૂલાત કરીપૂછપરછમાં આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરામાં આચરેલી બે ઘરફોડ ચોરીઓ જેમાં ગોત્રી અને અને સીટી પોલીસ મથકમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત આરોપી જાન્યુઆરી 2026માં મકરપુરા પો.સ્ટે.માં નોંધાયેલ GCTOC ગુના તથા અમદાવાદના ઇસનપુરમાં આચરેલા ચાર ઘરફોડ-વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જણાયું છે. તે આ ગુનાઓમાં ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આરોપી 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો આરોપીનો ગુનાહીત ઇતિહાસની વાત કરવામાં આવે તો તે અગાઉ વડોદરા શહેરમાં કુલ 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને એક વખત પાસા હેઠળ જેલ પણ ગયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યના યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા અને શ્રમિકોના સર્વાંગી ઉત્થાન માટે કમર કસી છે. વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2,902 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ બજેટને 'વિકસિત ભારત @ 2047'ના વિઝનને સાકાર કરનારું ગણાવ્યું છે. યુવા સશક્તિકરણ અને નવી યોજનાઓરાજ્યના યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' અંતર્ગત 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ITI શિક્ષણને આધુનિક બનાવવા માટે 'PM-સેતુ યોજના' હેઠળ 200 કરોડના ખર્ચે હબ-એન્ડ-સ્પોક મોડલ વિકસાવાશે. ખાસ કરીને દીકરીઓને ટેકનિકલ શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના' અમલી બનાવાઈ છે, જેમાં 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000ની આર્થિક સહાય અપાશે. શ્રમિકો માટે સામાજિક સુરક્ષાનું કવચશ્રમિકોના કલ્યાણ માટે સરકાર 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'નો વ્યાપ વધારી રહી છે. 200 કરોડના ખર્ચ સાથે નવા 300 અન્નપૂર્ણા બુથ શરૂ થશે, જ્યાં માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. રહેઠાણ માટે 'શ્રમિક બસેરા યોજના' હેઠળ 150 કરોડ અને આરોગ્ય સેવાઓ માટે 50 નવા 'ધનવંતરી આરોગ્ય રથ' ઉમેરવા 160 કરોડ ફાળવાયા છે. મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ ધરાવતા આવાસો માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે. વધુમાં, અકસ્માત વીમા પેટે 3.5 લાખ અને સિલીકોસીસ પીડિતોને સારવાર તથા મરણોત્તર સહાયમાં વધારો કરાયો છે. રોજગારી અને ઔદ્યોગિક વિકાસના આંકડાગુજરાત આજે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે. ભારતનો સરેરાશ બેરોજગારી દર 3.2% છે, જ્યારે ગુજરાતનો દર માત્ર 1.1% છે. વર્ષ 2025-26 દરમિયાન 1,215 ભરતીમેળા દ્વારા 2,60,878 ઉમેદવારોને રોજગારી મળી છે. રાજ્યમાં 559 ITI માં 2,18,516 બેઠકો કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉત્સાહજનક વૃદ્ધિ જોવા મળી છે; છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં નવા 1,016 કારખાનાઓની નોંધણી સાથે કુલ સંખ્યા 51,033 પર પહોંચી છે. ડ્રોન ટેકનોલોજી અને ભવિષ્યનું લક્ષ્યભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખીને રાજ્યમાં 6 DGCA માન્ય ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રો કાર્યરત છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા 600 થી વધુ પાઇલટ અને 1,200 થી વધુ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ અપાઈ છે. સરકારનું આગામી લક્ષ્ય 4-5 વર્ષમાં 60,000 થી વધુ લોકોને અત્યાધુનિક તાલીમ આપીને 'વિકસિત ગુજરાત'ના પાયાને મજબૂત કરવાનું છે.
રાજકોટની 26 વર્ષીય યુવતી છેલ્લા 3 વર્ષથી પોતાના પતિ પાસે કેનેડા જવા માટે તે ભારતીય પાસપોર્ટ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ તે સફળ થઈ રહી નથી. તેની પાસે ભારતીય હોવાના અનેક માન્ય પુરાવા છે. જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને તે ઇન્કમ ટેક્સ પણ ભરે છે, છતાં ભારતીય પાસપોર્ટ તેના માટે મેળવવો દુષ્કર બની રહ્યો છે. પાસપોર્ટ માટે તેને ભારતીય નાગરિકતાના પુરાવાની જરૂર છે, અને નાગરિકતા માટે વિદેશી પાસપોર્ટની જરૂર છે. તેની પાસે આ બંનેમાંથી એક પણ નથી અને એક વગર બીજું મળવું અશક્ય છે. યુવતીનો જન્મ વર્ષ 2000માં મોઝામ્બિકમાં થયો ને માતા-પિતા ભારતીયઅંતે 26 વર્ષીય યુવતીએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કેસની વિગતો મુજબ યુવતીનો જન્મ વર્ષ 2000માં મોઝામ્બિકમાં થયો હતો, તેના માતા-પિતા ભારતીય નાગરિકો હતા. મોઝામ્બિકમાં પૂરની સ્થિતિ સર્જાતા, તેના માતા-પિતા તેને લઈને ભારત પરત ફર્યા હતાં. તે સમયે તેની ઉંમર માત્ર 18 દિવસની હતી. આ પરિવાર મોઝામ્બિક સરકાર દ્વારા જારી કરાયેલ ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત આવ્યો હતો. યુવતીનો ઉછેર અને અભ્યાસ ભારતમાં જ થયો છે. તેની પાસે તમામ માન્ય ઓળખપત્રો છે અને તે આવકવેરો પણ ભરે છે. યુવતીએ NRI સાથે લગ્ન કર્યાવર્ષ 2023માં યુવતીએ કેનેડાના કેલગરીમાં વર્ક પરમિટ પર રહેતા એક NRI સાથે લગ્ન કર્યા. પતિ પાસે વિદેશ જવા માટે તેણે વર્ષ 2023માં પાસપોર્ટ માટે અરજી કરી હતી. જન્મની નોંધણી ન થઈ હોવાથી પાસપોર્ટ આપવાનો ઇનકાર કરાયોજો કે તેનો જન્મ ભારતમાં ન થયો હોવાથી અને નાગરિકતા અધિનિયમની કલમ 4 હેઠળ મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસમાં તેના જન્મની નોંધણી ન થઈ હોવાથી તેને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પાસપોર્ટ સત્તાવાળાઓ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો મેળવવા માટે નવી દિલ્હીમાં મોઝામ્બિક હાઈ કમિશન અને મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ સાથે પ્રક્રિયા હાથ ધરી હતી. 'ભારતીય નાગરિકતાનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ જોઈશે'પ્રથમ અરજી બંધ થયા બાદ તેણે ફરીથી અરજી કરી. પ્રાદેશિક પાસપોર્ટ કચેરીની સલાહ મુજબ તેણે મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ દ્વારા તેના જન્મ પ્રમાણપત્રને પ્રમાણિત કરાવવાની પ્રક્રિયા શરૂ કરી. જો કે જ્યારે તેણે આ પ્રક્રિયા પૂર્ણ કરી, ત્યારે 9 મે, 2025ના રોજ તેને જણાવવામાં આવ્યું કે માત્ર પ્રમાણિત જન્મ પ્રમાણપત્ર પૂરતું નથી. તેને પાસપોર્ટ માટે ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ જન્મ નોંધણી પ્રમાણપત્ર અથવા ભારતીય નાગરિકતા નોંધણીનું પ્રમાણપત્ર, અથવા ભારતીય નાગરિકતાનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ જોઈશે. અંતે યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરીતેણી પોતાની પાસેના તમામ દસ્તાવેજો સાથે નાગરિકતા પ્રમાણપત્ર માટે રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યાં 13 મે,2025ના રોજ કલેક્ટર કચેરીના અધિકારીએ તેની પાસે વિદેશી પાસપોર્ટ માંગ્યો, જે તેની પાસે ક્યારેય હતો જ નહીં. આ વિચિત્ર સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતા યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કેનેડા જઈને તેના પતિ સાથે રહેવા માંગતેણે રજૂઆત કરી છે કે, તેની પાસે વિદેશી પાસપોર્ટ ન હોવાથી તે ભારતીય નાગરિકતા અથવા નેચરલાઈઝેશનનું પ્રમાણપત્ર મેળવવાની સ્થિતિમાં નથી. તેણે હાઈકોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે જેથી તે કેનેડા જઈને તેના પતિ સાથે રહી શકે. આ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે તેઓ યોગ્ય પગલાં લે અને 5 મે, 2025 ના અરજદારના પત્રવ્યવહારના સંદર્ભમાં આગામી સુનાવણી પહેલાં સોગંદનામું કરે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને તપોભૂમિ ગણાતા બગસરાના આંગણે પૂજ્ય મોરારિબાપુના વ્યાસપીઠે ગવાઈ રહેલી માનસ મેઘાણી રામકથા તેના સાતમા દિવસે ભક્તિ અને સાહિત્યના અનોખા સંગમ સમાન બની રહી હતી. કથાના સાતમા દિવસે શિવ વિવાહના પ્રસંગે શ્રોતાઓ કરુણા અને આનંદના સાગરમાં હિલોળા લેતા જોવા મળ્યા હતા. મેઘાણી: એક શબ્દથી આકાશને બાથમાં લેનાર સર્જકપૂજ્ય મોરારિબાપુએ મેઘાણીના સાહિત્યિક કદ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેઘાણી માત્ર એક શબ્દ દ્વારા આખું આકાશ પોતાની બાથમાં લઈ લેવાની ક્ષમતા ધરાવે છે. બાપુએ ઉમેર્યું કે, મેઘાણીનો શબ્દ સીધો હૃદયને સ્પર્શ કરે છે, જેમાં કોઈ જાતિ વિકાર નથી. તેઓ આપણી સંસ્કૃતિનું મોંઘુ ઝવેરાત છે. બાપુએ પોતાની જીવનશૈલીના 5 મહત્વના અંગો – પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચનનો ઉલ્લેખ કરીને મેઘાણીના શબ્દોની ગરિમા ગાઈ હતી. શિવ વિવાહના પ્રસંગે કરુણા સભર માહોલકથાના ક્રમમાં આજે સતીના પુનઃજન્મ બાદ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થયેલું અવતરણ અને ત્યારબાદ ભગવાન શિવ સાથેના વિવાહનો પ્રસંગ બાપુએ અત્યંત ભાવુક રીતે રજૂ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગ સાંભળીને ઉપસ્થિત વિશાળ જનમેદની ભાવવિભોર થઈ ગઈ હતી. સાહિત્યિક કૃતિઓનું લોકાર્પણ અને મહાનુભાવોની ઉપસ્થિતિકથાના પ્રારંભમાં વિવિધ સાહિત્યિક પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બહાદુરભાઈ વાળાની રચના 'કલબલિયા', ડો. વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ 'અલખના આરાધક', ડો. સંજય દવે લિખિત 'લોક સંવેદના સર્જક મેઘાણી' અને નીતિન વડગામા સંપાદિત 'રામકથા માનસ સંવાદ'નું વિમોચન થયું હતું. આ પ્રસંગે સાહિત્યકારો, પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોમાં અભેસિંગ રાઠોડ, ચલાલાના મહંત પૂજ્ય મહાવીર બાપુ, સતાધારના પૂજ્ય મહંત વિજય બાપુ તથા મેઘાણીના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે બગસરા ભક્તિમય બની ગયું હતું.
સરસ્વતી તાલુકાના અઘાર ગામ પાસે રામદેવપીરના આશ્રમ નજીક માર્ગ ઓળંગી રહેલા 37 વર્ષીય યુવકને મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઘાર ગામના રહેવાસી અને GEBમાં ફરજ બજાવતા ગાંડાજી શંકરજી ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના 13 માર્ચ 2026 ના રોજ સાંજના સમયે બની હતી. ગાંડાજી ઠાકોર નોકરી પરથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પુત્ર પ્રકાશકુમાર (ઉંમર 37) ઘરનો પંખો રિપેર કરાવવા માટે પિતાને આપવા અઘાર રોડ પર આવેલા રામાપીરના આશ્રમ પાસે આવ્યા હતા. પ્રકાશકુમાર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે ડીસા તરફથી GJ 24 BB 0064 નંબરની મોટરસાઈકલ પર ધારેશજી જયંતીજી ઠાકોર પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચલાવીને આવ્યા અને પ્રકાશકુમારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રકાશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવક અને બાઈક ચાલક બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ પ્રકાશકુમારને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર બાઈક ચાલક ધારેશજી ઠાકોર પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સરસ્વતી પોલીસે આ મામલે BNS કલમ 281, 125(a), 125(b), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસના બાટલાની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે. ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. 15,000 થી વધુ લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ 2000 કિલો લાકડા મંગાવ્યા છે અને મેદાનમાં લાકડાના ચૂલા ખડકી દેવામાં આવ્યા છે. 51 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, પણ જમણવારનું સંકટ દૂર કરવા રાત-દિવસ મહેનતગોડાદરા ખાતે યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સમિતિએ અગાઉથી જ 15,000 મહેમાનો અને જાનૈયાઓ માટે આમંત્રણ પાઠવી દીધા હતા. જોકે, છેલ્લી ઘડીએ કોમર્શિયલ ગેસના બાટલાનો પુરવઠો ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોબ ગામડાઓનો સંપર્ક કરી લાકડાની વ્યવસ્થા કરી હતી. 2000 કિલો લાકડાની ‘એન્ટ્રી’ અને મેદાનમાં ધમધમ્યા ચૂલાસમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમને ખબર પડી કે ગેસના બાટલાની અછત છે, પણ અમે મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. જાનૈયાઓને જમાડ્યા વગર તો ન જ મોકલાય. એટલે અમે તરત જ ગામડાઓનો સંપર્ક કર્યો અને ગઈકાલે રાત્રે જ 2000 કિલો લાકડાનો જથ્થો સુરત આવી પહોંચ્યો. અત્યારે લાકડા પર જ રસોઈ બની રહી છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બની રહી છે. મેનૂમાં શું છે? 14 વાનગીઓનો રસાસ્વાદગેસની અછત છતાં આયોજકોએ મેનૂમાં કોઈ કાપ મૂક્યો નથી. લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.રસોઈયાઓ દ્વારા ગઈ રાતથી જ દૂધીનો હલવો અને લાંબો સમય લેતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવાયું હતું.લાકડાના ધીમા તાપે રંધાતી રસોઈનો સ્વાદ પણ અનોખો હોય છે, જેનો આનંદ મહેમાનો માણશે.રસોઈની ટીમનો દાવો છે કે સાંજ સુધીમાં તમામ 14 વાનગીઓ તૈયાર થઈ જશે. જૂના દિવસો યાદ આવ્યા: કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતસ્થાનિક કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે ગેસની સુવિધા નહોતી ત્યારે લોકો લાકડા પર જ રસોઈ બનાવતા હતા. આજે ગેસની અછતે અમને ફરીથી એ જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. અમે વિચાર્યું કે કેમ ફરીથી 'બેક ટુ બેઝિક' ન જઈએ? એટલે જ અમે લાકડાના ચૂલા બનાવીને આ ભવ્ય જમણવારની તૈયારી પૂર્ણ કરી છે. અછત વચ્ચે પણ આયોજકોની હિંમતસુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે. આવી સ્થિતિમાં હોટલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય આયોજકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાને બદલે રસ્તો કાઢવો જોઈએ.
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા 4 વર્ષથી એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. બંને યુવક-યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ પ્રેમસંબંધ યુવતી માટે ત્યારે મુસીબત બન્યો જ્યારે યુવકે તેને વારંવાર ફોન કરી હેરાન કરવાનું શરૂ કર્યું. યુવતીના પરિવારને આ સંબંધની જાણ થતાં તેણે પ્રેમી સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ વાત પ્રેમીને મંજૂર નહોતી. ફોટા વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકીસંબંધ તોડી નાખવાની જીદ પર અડગ યુવતીને ડરાવવા માટે યુવકે અત્યંત હીન માર્ગ અપનાવ્યો હતો. તેણે યુવતીના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. આ માનસિક ત્રાસને કારણે યુવતી તેની પરીક્ષાની તૈયારી પર પણ ધ્યાન આપી શકતી નહોતી. અંતે હારીને યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની સમયસૂચકતા અને કાયદાકીય પાઠઘટનાની ગંભીરતા સમજીને ઉમરા અભયમ ટીમ તુરંત જ યુવતીની મદદે પહોંચી હતી. ટીમે યુવક અને યુવતી બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન અભયમની ટીમે યુવકને કાયદાનું ભાન કરાવતા જણાવ્યું કે, કોઈપણ સ્ત્રીના અશ્લીલ ફોટા ડિજિટલ માધ્યમ પર શેર કરવા કે પ્રસારિત કરવા એ ગંભીર સજાપાત્ર ગુનો છે, જેમાં જેલ અને દંડ બંને થઈ શકે છે. ભૂલ સ્વીકારી અને લેખિતમાં માફી માંગીકાયદાના સકંજામાં ફસાવાની બીક લાગતા યુવક નરમ પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના ફોનમાંથી યુવતીના તમામ ફોટા ડિલીટ કરી નાખ્યા હતા. 181 ટીમ દ્વારા યુવક પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી હતી કે હવે પછી તે યુવતી કે તેના પરિવારને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કે ધમકી આપશે નહીં. આ રીતે અભયમ ટીમે કુશળતાપૂર્વક મામલો થાળે પાડી સમાધાન કરાવ્યું હતું.
જૂનાગઢ શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જાહેરાત બોર્ડ પ્રદર્શિત કરનાર એક એજન્સી સામે મહાનગરપાલિકાએ દંડનાત્મક કાર્યવાહી કરી અન્ય જાહેરાતકર્તાઓ માટે દાખલો બેસાડ્યો છે. નિયમોનું ઉલ્લંઘન પડ્યું ભારેપ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં 'પારેવડી ડિઝાઇનર' દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કિયોસ્ક પોલ ઉપર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર જાહેરાત બોર્ડ લગાડવામાં આવ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ કમિશનર જે.પી.વાજા અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન હેઠળ ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 15,000 નો દંડ અને બાહેધરીમનપાની ટીમે તા. 11/03/2026 ના રોજ પારેવડી ડિઝાઇનર પાસેથી નિયમોના ભંગ બદલ રૂ. 15,000 ના દંડની વસૂલાત કરી હતી. આટલું જ નહીં, એજન્સી પાસે એવી બાહેધરી પણ લેવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન થશે નહીં. આ સાથે જ તમામ ગેરકાયદેસર બોર્ડ એજન્સીએ પોતાના ખર્ચે જ ઉતારી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. નાગરિકો અને સંસ્થાઓને અપીલમહાનગરપાલિકા દ્વારા એક અખબાર યાદી જાહેર કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેરાત કે અન્ય પ્રવૃત્તિ કરતા પહેલા તંત્રની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી વગરની પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે સખ્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
સાણંદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને નિખારવા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’ સીઝન-3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લીગના સુપર લીગ રાઉન્ડની મેચો ગુરુવારે ચાંગોદર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને રસાકસીભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. મેદાન પર ખેલાડીઓનો જોશ અને પ્રેક્ષકોનો ઉત્સાહ જોતા સમગ્ર વાતાવરણ રમતમય બની ગયું હતું. 12 ટીમો વચ્ચે ખેલાયો જંગસુપર લીગના આ મહત્વપૂર્ણ તબક્કામાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમની વચ્ચે 12 જેટલી રોમાંચક મેચો રમાઈ હતી. આ સ્પર્ધાઓમાં મુખ્યત્વે U-14 બોયઝ ખો-ખો અને U-14 ગર્લ્સ કબડ્ડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શ્રેણીમાં 6-6 ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. કુલ 12 મેચો દરમિયાન ખેલાડીઓમાં અદભૂત ઉર્જા અને જીતવાની જીજીવિષા જોવા મળી હતી. વિજેતા ટીમોનું શાનદાર પ્રદર્શનમેદાન પર ખેલાડીઓએ પોતાની ચપળતા અને વ્યૂહરચનાથી સૌના દિલ જીતી લીધા હતા: U-14 બોયઝ ખો-ખો: આ વિભાગમાં પીલુપુરા અને તાજપુરની ટીમોએ મેદાન માર્યું હતું. ખેલાડીઓએ શાનદાર સંકલન અને ટીમવર્કનું પ્રદર્શન કરી પોતપોતાના ઝોનમાં વિજય મેળવ્યો હતો. U-14 ગર્લ્સ કબડ્ડી: આ શ્રેણીમાં સારી અને કોલાટની દીકરીઓએ પોતાની મક્કમતા અને રમત કૌશલ્યના જોરે જીત હાંસલ કરી હતી. તેમની વ્યૂહરચના પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્થાનિક નેતૃત્વ અને સુચારૂ આયોજનઆ ટુર્નામેન્ટની સફળતા પાછળ સ્થાનિક સમુદાય અને નેતૃત્વનો અમૂલ્ય સહયોગ રહ્યો છે. ચાંગોદરના સરપંચ બહાદુરભાઈ શંકરભાઈ ઠાકોર તથા મુનાભાઈએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. મેદાનની તૈયારીથી લઈને ખેલાડીઓ માટે પૌષ્ટિક ભોજન અને અન્ય તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં તેમણે વિશેષ જહેમત ઉઠાવી હતી. વિજયી ભારત ફાઉન્ડેશનનો અભિગમવિજયી ભારત ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત 'ખેલે સાણંદ' અભિયાન માત્ર એક રમત નથી, પરંતુ ગ્રામીણ યુવાનો માટે પોતાની કુશળતા વિકસાવવાનું એક સબળ પ્લેટફોર્મ છે. ‘ટીમ ખેલે સાણંદ’ દ્વારા જણાવાયું હતું કે, “આપણા ગામડાઓના એથ્લેટ્સમાં રહેલું સમર્પણ પ્રેરણાદાયી છે. આ પહેલ ગ્રામીણ ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચરને મજબૂત કરી ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.”
જરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર વડોદરામાં ટેકનોલોજી ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. એઆઈ પાવર ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી ટેક કન્સલ્ટિંગ કંપનીએ શહેરમાં 'અદિતિ એઆઈ લેબ' (Aditi AI Lab) કાર્યરત કરી છે. આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક એપ્રેન્ટીસશિપ અભ્યાસક્રમ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કુશળ એન્જિનિયર્સ તૈયાર કરવાનો છે. પ્રેક્ટિકલ તાલીમ અને મેન્ટરશિપ પર ભારઅદિતિ લેબ્સનું લક્ષ્ય ગુજરાતની યુવા એન્જિનિયરિંગ પ્રતિભાઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પરંતુ વાસ્તવિક જગતના પ્રેક્ટિકલ એઆઈ કૌશલ્યથી સજ્જ કરવાનું છે. આ માટે સંસ્થા દ્વારા યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે. જે કંપનીઓ હાલમાં એઆઈ ટેકનોલોજી અપનાવી રહી છે, તેમની સતત બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રતિભાઓને ગ્લોબલ એક્સપોઝર આપવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી શકે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહભાગીવર્તમાન સમયમાં ઔદ્યોગિક સંસ્થાઓ પોતાની પરંપરાગત કાર્યશૈલીને આધુનિક બનાવી રહી છે. કાર્યો ઓટોમેટિક થાય અને ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ થાય તે માટે એઆઈનો સ્વીકાર ઝડપથી વધી રહ્યો છે. અદિતિ લેબ એઆઈ ઈનોવેશનને એવા ઉકેલોમાં ફેરવશે જે સીધા કંપનીઓના વિકાસમાં મદદરૂપ થાય. આ પહેલ શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સેતુ સમાન સાબિત થશે. 12 મહિનાનો ખાસ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામઆ લેબ હેઠળ 12 મહિનાનો એક વિશેષ એઆઈ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ આશાસ્પદ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ઉદ્યોગ જગત માટે તૈયાર પ્રોફેશનલ્સમાં પરિવર્તિત કરશે. આ પ્રોગ્રામમાં જોડાનાર યુવાનોને રિયલ-વર્લ્ડ એઆઈ સિસ્ટમ્સ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ મળશે. તેઓ ટેલિકોમ, ફિન્ટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા મહત્વના ક્ષેત્રોના લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. આ ઉપરાંત, ડેટા એન્જિનિયરિંગ, મોડેલ ડેવલપમેન્ટ અને ઓપરેશનલ મોડેલ્સ વિકસાવવાની જટિલ કુશળતા પણ કેળવશે.
મોરબી જિલ્લા SOG ટીમે લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી એક નાસ્તાની દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન દુકાનમાંથી 2.606 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, રોકડ રકમ, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,16,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર, એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે આવેલી પતરાની નાસ્તાની દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરોપી ઉદયભાઈ રામખેલાવન વર્મા (હાલ રહે. લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તે, એકવાસેરા સેનેટરી કારખાના પાસે; મૂળ રહે. ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2.606 કિલોગ્રામ ગાંજો, ગાંજાના વેચાણથી મળેલા ₹1400 રોકડા, એક વજન કાંટો અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ખેલ મહાકુંભ 2025:વડોદરાની સ્વિમિંગ ટીમનો દમદાર દેખાવ, કુલ 115 પદકો સાથે મેદાન માર્યું
ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશાળ ગણાતા રમત ઉત્સવ 'ખેલ મહાકુંભ'માં વડોદરાના સ્વિમર્સે પોતાની પ્રતિભાનો પરચો આપતા અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. રાજ્યભરના હજારો ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડતા આ મહાકુંભમાં વડોદરાની સ્વિમિંગ ટીમે શાનદાર પ્રદર્શન કરી કુલ 115 પદકો પોતાના નામે કર્યા છે. જેમાં 43 ગોલ્ડ, 23 સિલ્વર અને 19 બ્રોંઝ પદકોનો સમાવેશ થાય છે. આ વિજય સાથે વડોદરાએ ફરી એકવાર સ્વિમિંગ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ત્રણ તબક્કામાં યોજાઈ હતી સ્પર્ધાખેલ મહાકુંભ 2025ની રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત 18 અને 19 જાન્યુઆરી 2026ના રોજ વડોદરાથી થઈ હતી, જ્યાં ઓપન એજ બોયઝ અને ગર્લ્સ કેટેગરીના મુકાબલા યોજાયા હતા. ત્યારબાદ 13 અને 14 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર ખાતે અંડર-11, અંડર-14 અને અંડર-17 બોયઝ કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી. અંતિમ તબક્કામાં 22 અને 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન હિંમતનગરમાં ગર્લ્સ કેટેગરીની સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી. સ્ટાર પરફોર્મર્સ: માધવ દાઉદીયા અને શિવમ કુમારની ચમકઆ સમગ્ર સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ વ્યક્તિગત રીતે પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અંડર-17 કેટેગરીમાં માધવ નિલેશભાઈ દાઉદીયા 05 ગોલ્ડ મેડલ જીતીને 'સ્ટાર પરફોર્મર' તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે નાની ઉંમરની અંડર-11 કેટેગરીમાં શિવમ કુમારે 02 ગોલ્ડ મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદક વિજેતા ખેલાડીઓની લાંબી યાદી વડોદરાને ગૌરવ અપાવનારા અન્ય મુખ્ય પદક વિજેતાઓમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે: આઝિક્યા સિંહ: 04 ગોલ્ડ, 01 સિલ્વર અવની સિંહ: 04 ગોલ્ડ, 01 બ્રોંઝ જયવલ જાની: 03 ગોલ્ડ, 01 બ્રોંઝ જયદીપ કિથોરિયા: 03 ગોલ્ડ, 01 સિલ્વર અનુશ્યા કૈથવાસ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ સ્મૃતિ સિંહ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ ઓમ કદમ: 02 ગોલ્ડ, 03 બ્રોંઝ સાંવી પટવા: 02 ગોલ્ડ, 02 સિલ્વર હર્ષ મહેશ્વરી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 03 બ્રોંઝ પ્રશિવ જોશી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 02 બ્રોંઝ આ ઉપરાંત ચિરાગ નેગી, આરુષ લાંજેવાર, શુભમ મેર, પ્રિષા પંચોલી, હિમધી ચૌહાણ અને સારા સરોહાએ પણ ગોલ્ડ મેડલ જીતીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સિલ્વર અને બ્રોંઝ મેડલ જીતનાર ખેલાડીઓમાં કાશ્વી સિંહ (04 સિલ્વર), જિનલ પિત્રોડા, રેણુકા પહુ, વૈષ્ણવી કુનવારિયા, ભાવ્યા મહેતા અને અન્ય ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સફળતા પાછળનું સીક્રેટ: સખત તાલીમ અને માર્ગદર્શનઆ ઐતિહાસિક સફળતા રાતોરાત મળી નથી. આ તમામ સ્વિમર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ મહિનાઓથી કઠોર તાલીમ લઈ રહ્યા છે. કોચ કૃષ્ણ પંડ્યા અને વિવેક સિંહ બોરલિયાના ટેકનિકલ માર્ગદર્શન તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારની શારીરિક તાલીમે આ ખેલાડીઓને માનસિક અને શારીરિક રીતે સજ્જ કર્યા છે. ખેલાડીઓની સતત મહેનત, શિસ્ત અને કોચિંગ સ્ટાફના સમર્પણને કારણે આજે વડોદરાનું નામ રમતગમત જગતમાં ગુંજતું થયું છે.
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના વીરપર ગામ નજીક એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ૩૦ વર્ષીય યુવાન ઘનશ્યામભાઈ નંદરામભાઇ વિશ્વકર્માનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના નવલખી રોડ પર વીબોક્સ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત ઘનશ્યામભાઈ વીરપર ગામ પાસે બા ની વાડી નજીક રોડ પર ઊભા હતા. તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ સંતોષ નંદરામભાઇ વિશ્વકર્મા (૩૧)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભયાનક હિંસક અથડામણ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 20 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂની અદાવતમાં લોહિયાળ જંગ વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે રાઠોડ અને જાદવ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આજે સવારે જ્યારે જાન જઈ રહી હતી, ત્યારે અચાનક ટોળાએ ઘાતક હથિયારો સાથે હીચકારો હુમલો કરી દીધો હતો. જોતજોતામાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ગામ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. 25 લોકો લોહીલુહાણ, ધારપુર સિવિલમાં દોડધામ આ હિંસક અથડામણમાં પથ્થરમારો અને હથિયારોના ઘા વાગવાથી 20 થી વધુ પુરુષો અને 5 મહિલાઓ લોહીલુહાણ થઈ હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિહોરી અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધારપુર હોસ્પિટલના RMMO રમેશભાઈએ જણાવ્યું હતું કે, બંને પક્ષના થઈને કુલ 24 થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલ પરિસરમાં પણ ઈજાગ્રસ્તોના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઘટનાની ગંભીરતા જોતા સરસ્વતી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક વાયડ ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દિવ્યાંગોને સ્વનિર્ભર અને સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના 5676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 36.7 કરોડ રૂપિયાની કિંમતની મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોનું રોજિંદું જીવન વધુ સરળ, સુગમ અને ગતિશીલ બનાવવાનો છે. ટેકનોલોજીથી દિવ્યાંગોનું જીવન બનશે સરળઅત્યાર સુધી દિવ્યાંગોને સાધન સહાય યોજના હેઠળ હાથથી ચલાવવી પડે તેવી સાદી ટ્રાઈસિકલ કે વ્હીલચેર આપવામાં આવતી હતી. જેના કારણે તેમને શારીરિક શ્રમ વધુ કરવો પડતો અને લાંબા અંતરની મુસાફરીમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ વેદનાને સમજીને સરકારે હવે આધુનિક સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં પ્રતિકરૂપે 40 લાભાર્થીઓને સાધનો અર્પણ કરી આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહાયની રકમ અને વયમર્યાદામાં ઐતિહાસિક ફેરફારમુખ્યમંત્રીએ દિવ્યાંગોના હિતમાં વધુ બે મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. લોકમોટર ડિસેબિલિટી, સેરેબ્રલ પાલ્સી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા દર્દીઓ મુસાફરી દરમિયાન પણ પોતાની વ્હીલચેર સાથે રાખી શકે તે માટે હવે સાદી જોયસ્ટિક વ્હીલચેરને બદલે 'ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર' આપવામાં આવશે. આ માટે સહાયની રકમ વધારીને 1.10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા બાળકો માટે સહાય મેળવવાની પાત્રતા વય 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી દેવામાં આવી છે, જેથી નાની ઉંમરથી જ તેમને આધુનિક સુવિધા મળી રહે. બજેટમાં 60 કરોડની જોગવાઈ અને સેચ્યુરેશન એપ્રોચવર્ષ 2025-26 ના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના માટે 60 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યનો એક પણ જરૂરતમંદ દિવ્યાંગ આ સહાયથી વંચિત ન રહેવો જોઈએ. આ માટે 'સેચ્યુરેશન એપ્રોચ' (સો ટકા લક્ષ્યાંક) અપનાવવાની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતને વૈશ્વિક કુશળતાના હબ તરીકે સ્થાપિત કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નિયામક રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ તૈયાર કરી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારી મેળવવા સક્ષમ બનાવવાનો છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર થશે 'સ્કિલ્ડ' યુવાનોઆ પ્રસંગે સંબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કુશળ માનવબળ એ 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો મજબૂત પાયો છે. આ MoU અંતર્ગત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી-સ્પેસિફિક સ્કિલ્સનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે. આ તાલીમ યુવાનોને ભવિષ્યના પડકારો અને ઉદ્યોગોની માગને અનુરૂપ તૈયાર કરશે, જેથી તેમની કારકિર્દીના નવા દ્વાર ખુલશે. સોલાર, વિન્ડ અને લોજિસ્ટિક્સ સેક્ટર્સ પર ભારઆ સમજૂતી અંતર્ગત યુવાનોને એવા ક્ષેત્રોમાં તૈયાર કરવામાં આવશે જેમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. ખાસ કરીને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ તથા કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા વિષયો પર વિશેષ તાલીમ કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યની પસંદગીની ITIs માં અદ્યતન 'સ્કિલ લેબ્સ'ની સ્થાપના કરવામાં આવશે. આ લેબ્સમાં વિદ્યાર્થીઓને માત્ર થીયરી નહીં પરંતુ પ્રત્યક્ષ ઉદ્યોગ અનુભવ (Hands-on training) અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળશે, જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. 'વિકસિત ભારત @2047' વિઝન આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ પહેલ વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047' અને 'સ્કિલ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરવામાં પૂરક સાબિત થશે. હજારો યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ મળવાથી ગુજરાતમાં રોજગારના નવા વિકલ્પો ઉભા થશે અને ઉદ્યોગોને સ્થાનિક સ્તરે જ કુશળ કારીગરો મળી રહેશે. આ કાર્યક્રમમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, મંત્રીના અંગત સચિવ જે.બી.વદર સહિત ઉચ્ચ અધિકારીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 12 માર્ચ 2026 ના રોજ કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા આયોજિત આંતર-કોલેજિયેટ ઇવેન્ટ “ટેક્નોમંત્ર 2026” માં કોલેજના વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં વિજેતા બની સંસ્થાનું નામ રોશન કર્યું છે. ટગ ઓફ વોરમાં મેદાન માર્યુંશારીરિક ક્ષમતા અને અદભૂત ટીમવર્કની કસોટી કરતી ‘ટગ ઓફ વોર’ સ્પર્ધામાં પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજની ટીમે મેદાન માર્યું હતું. સંકલન અને અતૂટ નિશ્ચય સાથે રમીને આ ટીમે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ વિજેતા ટીમમાં ઉન્નતિ તપોધન, વિશ્વા પટેલ, પ્રાચી બાંભણીયા, તિથિ આદેશરા અને તૃપ્તિ ભાવસારનો સમાવેશ થાય છે. સર્જનાત્મક સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાનમાત્ર રમતગમત જ નહીં, પરંતુ બૌદ્ધિક અને સર્જનાત્મક કૌશલ્યમાં પણ વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું હતું. ‘પિક્શનરી’ સ્પર્ધામાં ઉન્નતિ તપોધન અને મોક્ષ મિસ્ત્રીએ પોતાની ત્વરિત વિચારશક્તિના જોરે બીજો ક્રમ મેળવ્યો હતો. તેવી જ રીતે, ‘રિવર્સ ચૅરેડ્સ’ સ્પર્ધામાં તિથિ આદેશરા અને પ્રાચી બાંભણીયાની જોડીએ પ્રભાવશાળી તાલમેલ બતાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કૂકિંગમાં પણ નવીનતાનો સ્પર્શઆધુનિક કૌશલ્યોની સાથે વિદ્યાર્થીઓએ ‘કૂક વિધાઉટ ફાયર’ (અગ્નિ વિના રસોઈ) સ્પર્ધામાં પણ પોતાની કળા પીરસી હતી. આ સ્પર્ધામાં મોક્ષ મિસ્ત્રી અને હાની પંચાલે પોતાની નવીન વાનગીઓ અને આકર્ષક પ્રસ્તુતિ દ્વારા નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા અને બીજો ક્રમ પોતાના નામે કર્યો હતો. માર્ગદર્શન અને પ્રોત્સાહનવિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ કોલેજના ફેકલ્ટી સભ્યો ડૉ. હેતલ દોશી અને ડૉ. બીના પટેલનું સચોટ માર્ગદર્શન રહ્યું હતું. આ ઉપરાંત, આચાર્ય ડૉ. એન. ડી. શાહના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીઓ આટલી ઉંચાઈએ પહોંચી શક્યા છે. કોલેજ મેનેજમેન્ટ અને તમામ સ્ટાફ મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં જ છેલ્લા 24 કલાકમાં ઘર પાસે રમતા બે બાળક પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. પહેલી ઘટનામાં બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. તો આજે પણ 3 વર્ષીય બાળક પર કૂતરાએ હુમલો કરી માથા સહિતના શરીરના ભાગે 25થી વધઉ બચકા ભર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રોજના સુરચ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. શ્વાનોથી બાળકોના જીવને જોખમ હોવા છતાં મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વર્તી રહી છે. ઘટના 1: સંગમ સોસાયટીમાં 3 વર્ષીય સોમ ગોરા ભોગ બન્યોભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટી પાસે આજે 14 માર્ચની સવારે 3 વર્ષીય સોમ ગોરા પર શ્વાને હુમલો કર્યો હતો. સવારે સોમ જ્યારે ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે શ્વાને સીધો જ તેના હુમલો કરી બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યોશ્વાને સોમ ગોરાના માથા, મોઢા અને પગના ભાગે 25થી વધુ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના જડબામાંથી છોડાવ્યું હતું. લોહીલુહાણ હાલતમાં સોમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરાવવામાં આવી રહી છે. ઘટના 2: ગણેશનગરમાં 4 વર્ષીય અંશ કુશવાહના ગામે બચકું ભર્યુંભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં રહેતા 4 વર્ષીય અંશ કુશવાહ નામનો બાળક પોતાના ઘર પાસે મિત્રો સાથે ગઈકાલે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક શ્વાન તેની પાછળ પડ્યું હતું. બાળક કંઈ સમજે તે પહેલાં શ્વાને તેને જમીન પર પાડી દીધો હતો અને તેના ગાલ પર બચકું ભરી ગાલનો ભાગ ફાડી નાખ્યો હતો. મોઢા પર ગંભીર ઈજા થવાને કારણે અંશને પણ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની ભયાનક સ્થિતિ, રોજ 100થી વધુ કેસસુરત સિવિલ હોસ્પિટલના આંકડાઓ અત્યંત ચિંતાજનક છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, દરરોજ શહેરમાંથી 100થી વધુ કેસ ડોગ બાઈટ (શ્વાન કરડવા) અને કેટ બાઈટના આવી રહ્યા છે. હોસ્પિટલના કેમ્પસમાં વહેલી સવારથી જ લોકો હડકવાની રસી મુકાવવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવતા કેસોમાં મોટાભાગે નાના બાળકો અને વૃદ્ધો હોય છે, જેઓ શ્વાન સામે પોતાનો બચાવ કરી શકતા નથી.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે ખુલી જગ્યામાં પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે આવેલ અંડર બ્રિજ નજીક રેડ કરતા છ શખ્સો ગોળ કુંડાળ વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં ભીમદેવ મહિપતસિંહ ગોહિલ ઉંમર વર્ષ.52, રહે.વિઠલવાડી બાવળિયા હનુમાન મંદિર સામે ભાયાણીની વાડી તુલસીનગર, સલીમ મનસુરભાઈ સુમરા ઉંમર વર્ષ.53, રહે.કુંભારવાડા, નયુદ્દીન રફીકભાઈ બેલીમ ઉંમર વર્ષ.30, રહે.કુંભારવાડા, સલીમ હાજીભાઈ મજરા ઉંમર વર્ષ.42, રહે.કુંભારવાડા, સકીલ ગફાર શેખ ઉંમર વર્ષ.35 રહે.કુંભારવાડા અને મહંમદહુસૈન આરીફભાઈ કુરેશી ઉંમર વર્ષ.21 રહે.કુંભારવાડા વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 45,360 કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં પ્રથમ લોક અદાલત:15 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો, 9500થી વધુ કેસોનો નિકાલ થશે
જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન. આર. જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં 9,500થી વધુ કેસોના નિકાલ માટે રાખવામાં આવ્યા છે. આ કેસોની સુનાવણી કુલ 27 કોર્ટમાં વિવિધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવશે. બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત આશરે 15 જેટલી સંસ્થાઓએ આ લોક અદાલતમાં ભાગ લીધો છે. લોક અદાલતમાં પ્રી-લિટિગેશન અને પોસ્ટ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનકારી કેસોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાકી લેણાંના કેસો, ઇ-ચલણ અને MACPના કેસો તેમજ કબૂલાતપાત્ર અન્ય તમામ કેસોનો નિકાલ કરવામાં આવશે. હાલ આ કેસોના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરના જ્યુડિશિયલ ઓફિસર, કોર્ટ સ્ટાફ અને વકીલ મિત્રોનો સારો સહકાર મળી રહ્યો છે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન લાવી વર્ષો જૂના કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અકસ્માત સર્જનારા કારચાલકને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા કારચાલકે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો છે. આ મામલે હજી સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈ ફરિયાદ આવી ન હોય પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. શુક્રવારે રાત્રે નિકોલમાં કારચાલકે અકસ્માત સર્જયો હતોનિકોલમાં ખોડિયાર મંદિર પાસે 13 માર્ચે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ GJ-13 CB 2908 નંબરની I-10 કારના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત બાદ એક વૃદ્ધ વ્યક્તિ કારચાલકને સમજાવવા આવ્યા હતા ત્યારે કારચાલકે ત્યાંથી વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી.આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરીવાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ વાઘેલા જણાવ્યું હતું કે હાલ અમારી પાસે કોઈ ફરિયાદ કરવા આવ્યો નથી. પરંતુ અમે ગાડીના નંબરના આધારે તપાસ કરી રહ્યા છે.સાથે ટ્રાફિક પોલીસ પર કાર ચાલકની તપાસ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃલાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરવાનું કહીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર સિદ્ધાર્થ રાવલ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ રાવલ સામે 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધાર્થે લોકોને શરૂઆતમાં રોકાણ કરવાનું કહીને સારું એવું વળતર પણ આપ્યું હતું, પરંતુ થોડા સમય બાદ વળતર આપવાનું બંધ કરીને ઠગાઈ કરી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યુંપાલડીમાં રહેતા આશીનીબેન શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વર્ષ 2021માં સિદ્ધાર્થના સંપર્કમાં આવ્યા હતા. જેમાં તેમને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીના કર્મચારી અને માલિકે રોકાણ પર દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યું હતું. જેથી આશીનીબેને 10 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં તેમને શરૂઆતમાં વળતર આપવામાં આવ્યું હતું. જે બાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આશાનીબેને મૂડી પરત માંગતા વાયદા કરીને મૂડી પરત આપી ન્હોતી. આશાનીબેન સહિત અન્ય લોકો સાથે પણ આ રીતે જ પૈસા પડાવ્યા હતા જેથી સરખેજ પોલીસે 20 લાખની છેતરપિંડી મામલે સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ મૂડી પરત ન આપી અલગ અલગ બહાના બનાવ્યાસેટેલાઈટમાં રહેતા કલ્પનાબેન શાહે પણ સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2022માં તેમનો સંપર્ક સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપની સાથે થયો હતો. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાની સારી પોલીસી જણાવી સારું વળતર આપવાની લાલચ આપી હતી. જેથી કલ્પનાબેને 8.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કલ્પનાબેનને શરૂઆતમાં રોકાણ પર વળતર આપવામાં આવતું હતું. જ્યારે કલ્પનાબેને તેમની મૂડી પરત માગી ત્યારે પરત આપવામાં આવી નહોતી અને અલગ અલગ બહાના બનાવવામાં આવતા હતા. બીજી ફરિયાદમાં 22 લાખની છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસકલ્પનાબેને સિદ્ધાર્થ રાવલની ઓફિસ અને રહેઠાણ ખાતે તપાસ કરી તો તે ત્યાં પણ હાજર ન હતો. કલ્પનાબેન સહિત અન્ય ચાર લોકો પાસે પણ આ જ રીતે અલગ અલગ રકમ લઈને ઠગાઈ કરવામાં આવી હતી. સરખેજ પોલીસે બીજી ફરિયાદમાં સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ 22 લાખની છેતરપિંડી મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઠક્કરનગર બીઆરટીએસ ટ્રેકમાં ચાલી રહેલા યુવકને પૂરઝડપે એક બુલેટ ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે 23 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘરેથી જમીને ચાલવા બહાર નીકળ્યો અને બુલેટ ચાલકે ઉડાવ્યોશહેરના હીરાવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષનો સાહિલ રાદડિયા નિકોલ ખાતે આવેલા મોતીલાલ ઓસ્વાલ ખાતે શેરબજારનો કામ કરતો હતો. ગત મોડી રાત્રે સાહિલ તેના ઘરેથી જમીને ચાલવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન ઠક્કરનગર BRTS ટ્રેકમાં સાહિલ ચાલી રહ્યો હતો. ત્યારે એક બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે સાહિલને ટક્કર મારી હતી, જેના કારણે સાહિલ નીચે પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, સાહિલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ બુલેટ પરથી પડ્યો હતોસાહિલનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ બુલેટ પરથી પડ્યો હતો. જેના કારણે બુલેટ ચાલકને પણ ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વૃદ્ધને ટુ-વ્હીલર ચાલકે ટક્કર મારતા ઘરના દરવાજે જ મોતઅન્ય કિસ્સામાં દાણીલીમડા વિસ્તારમાં શક્તિ સોસાયટીમાં રહેતા નૂર મોહમદ રાતના 8 વાગ્યે મસ્જિદમાં નમાઝ માટે ગયા હતા.રાતે 10 વાગ્યે નમાઝ કરીને પરત આવી રહ્યા હતા, ત્યારે તેમના ઘર મેઈન દરવાજા પાસે પહોચતા જ એક સફેદ કલરના બર્ગમેન ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. બર્ગમેનની ટક્કર બહાર રમી રહેલી 4 વર્ષની બાળકી અને નૂરમોહમદને વાગતા બાળકીને ઇજા થઈ હતી. જ્યારે નૂરમોહમદને માથાના ભાગે ગંભીર ઇજા થતા પરિવારના સભ્યો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન નૂરમોહમદનું મોત થયું હતું. કે.ડિવિઝન ટ્રાફિક પોલીસે ટૂ-વ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ રેલવે પોલીસ અને શી ટીમે સતર્કતા દાખવી ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું પરિવાર સાથે ભાવુક પુનઃમિલન કરાવ્યું હતું. રેલવે ટ્રેનો અને રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો સામેના ગુનાઓ અટકાવવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ છે. આ માર્ગદર્શન હેઠળ, ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતત કાર્યરત છે. તારીખ 13 માર્ચ, 2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યે એક મુસાફરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને એક યુવતી અને તેની નાનકડી બાળકી વિશે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર 22 વર્ષ અને તે બોરીવલી વેસ્ટ, મુંબઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે, તેણે ઘરમાં કોઈને જાણ કર્યા વિના દીકરીને સાથે લઈ આંગણવાડી જઈ રહી છું એમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ તે કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવી તેના પતિનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો. પતિને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. જરૂરી દસ્તાવેજો અને નિવેદન લીધા બાદ યુવતી પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવા તૈયાર થઈ હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરીને યુવતી અને તેની બાળકીનો કબજો તેના પતિને સોંપ્યો હતો. લાંબા સમય પછી પરિવારનું પુનઃમિલન થતાં ભાવુક ક્ષણો સર્જાયા હતા.
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા ગેરકાયદે બાંધકામ અને પ્લાન કમ્પ્લીશનના નામે સામાન્ય નાગરિકો પાસેથી લાખો રૂ.ની લાંચ માંગવામાં આવતી હોવાના કથિત વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ શહેરના સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગંગાજળ છાંટી 'શુદ્ધિકરણ'નો કાર્યક્રમ યોજ્યો હતો. તેમજ રામધૂન બોલાવી આશ્ચર્યજનક વિરોધ કરતા જ પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરાઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના શાસકો સરકારી મિલકતો જેવી કે સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને ત્યાં બેસીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં પણ પૂર્વ કોર્પોરેટર દ્વારા 3 લાખ, 4 લાખ અને તેમાંથી 1.50 લાખ રૂ. જેવી રકમની લેતીદેતીની વાતો કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમ ખોલાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે. ઘટનાને ગંભીર ગણાવતા કોંગ્રેસે માગ કરી છે કે સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી સત્ય બહાર આવી શકે. NSUIનાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું કે, છેલ્લા 2-3 દિવસથી રાજકોટની જનતામાં અને મીડિયા દ્વારા ભાજપના પૂર્વ નગરસેવક અનિલ મકવાણા જે રીતે સામાન્ય નાગરિકો પાસેથી પ્લાન કમ્પ્લીશન અને ખોટા બાંધકામના નામે 3 લાખ, 4 લાખ અને તેમાંથી 1.50 લાખ રૂ. લેવાની વાતો કરી રહ્યા છે તે ગંભીર બાબત છે. સર્કિટ હાઉસના ટેબલ ઉપરથી એવું કહેવામાં આવે છે કે કોન્ફરન્સ રૂમ ખોલી આપો, આ અમારું સર્કિટ હાઉસ છે અને અમારે અહીં બેસવાનું જ હોય. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપના શાસકો સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. અમે સર્કિટ હાઉસના મેનેજરને પણ અમે પૂછ્યું છે કે કયા ધારાસભ્યના દબાણથી તેમને કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપવામાં આવી? અંતમાં તેમણે જનતાને અપીલ કરી હતી કે જો કોઈ પણ ભાજપનો સત્તાધીશ તમને દબાવતો હોય કે તોડ કરતો હોય, તો શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરજો, કોંગ્રેસ તમને ન્યાય અપાવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સર્કિટ હાઉસમાં બેસીને રામધૂન બોલાવી હતી અને 'ભાજપ હાય હાય' ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધનાં સૂત્રો અને સીસીટીવી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, તેઓ સર્કિટ હાઉસના મેનેજરને આ મુદ્દે પૂછવા આવ્યા છે કે કયા ધારાસભ્યના દબાણ હેઠળ કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષે જનતાને અપીલ કરી છે કે જો કોઈ ભાજપના સત્તાધીશો દ્વારા તેમને દબાવવામાં આવતા હોય કે તોડ કરવામાં આવતો હોય, તો તેઓ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરે, કોંગ્રેસ તેમને ન્યાય અપાવવાનું કામ કરશે. આ ઘટનાએ હાલ રાજકોટના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરીને રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પુરવઠા અધિકારીઓની ટીમોએ સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરે છે કે કેમ અને વધુ સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી થતી હોય તો તેને અટકાવવા માટે કડક સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે. ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
બોટાદમાં પકા શેઠની વાડીથી તુલસી નગરનો રસ્તો બિસ્માર:સ્થાનિકોને મુશ્કેલી, તાત્કાલિક રસ્તો બનાવવા માંગ
બોટાદ શહેરના વોર્ડ નંબર ૮ માં પકા શેઠની વાડીથી તુલસી નગર સુધીનો રસ્તો છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો મારુતિ નગર, પકા શેઠની વાડી, તુલસી નગર, મહાદેવ નગર, રામદેવ નગર અને મોહન નગર જેવા અનેક વિસ્તારોને શહેર સાથે જોડે છે. વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને, ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તા પર ગંદા પાણી ભરાવાને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી રસ્તાના સમારકામ કે નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઈ નથી. આના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ કરી છે અને જો કામગીરી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહિશ હરેશભાઈ હડાળીયાએ આ માહિતી આપી હતી. આ અંગે નગરપાલિકાના સદસ્ય રવજીભાઈ વાટુકિયાએ જણાવ્યું હતું કે, પકા શેઠની વાડી વિસ્તારથી તુલસીનગર સુધીનો રસ્તો છેલ્લા ચારેક વર્ષથી ખરાબ છે. આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૨૬-૨૭ની ગ્રાન્ટમાં આ રસ્તાનો સમાવેશ કરીને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય વિધવા મહિલા ના બંધ મકાનના તાળા તોડી, તેમના નણંદ અને નણંદોયાએ ગેરકાયદે પ્રવેશ કરી મકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અમીબેન આશિષભાઈ રૈયા ઉ.વ.58, રહે.આંબાવાડી, મંગળામાતાના મંદિર પાસે એકલા રહે છે, તેમણે પોતાની નણંદ જાગૃતિ અને નણંદોયા રાજીવભાઈ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમના પતિના અવસાન બાદ તેઓ આ મકાનમાં રહે છે આ મિલકત બાબતે અગાઉથી જ કોર્ટમાં વિવિધ કેસો પેન્ડિંગ છે, ગઈકાલે તા.13 માર્ચના રોજ સાંજે જ્યારે અમીબેન પોતાના કામે બહાર ગયા હતા, ત્યારે પાછળથી નણંદ જાગૃતિ અને રાજીવએ મકાનના મુખ્ય દરવાજા અને ઉપરના ભાગના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અમીબેન જ્યારે સાંજે 6 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે ઘરને અંદરથી તાળા મારેલા હતા અને આરોપીઓ બાલ્કનીમાં જોવા મળ્યા હતા, વધુમાં, અમીબેને આક્ષેપ કર્યો છે કે તેમના મોબાઈલમાં કનેક્ટ થયેલા ઘરના સીસીટીવી કેમેરા પણ આરોપીઓએ ડિસ્કનેક્ટ કરી નાખ્યા છે, જેથી ઘરમાં શું નુકસાન થયું છે તેની વિગત જાણી શકાઈ નથી, આ મિલકત બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે નણંદે સાસુ પાસેથી ગિફ્ટ ડીડ કરાવી મકાન પચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે, જેની સામે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે,અમીબેને 'રાઈટ ટુ રેસિડેન્સ' હેઠળ પણ મનાઈહુકમ માંગેલો છે જે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો, હાઈકોર્ટના આદેશ અને વિવિધ સિવિલ તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસો ચાલુ હોવા છતાં, આરોપીઓએ ગેરકાયદેસર રીતે મકાનમાં પ્રવેશ કરતા અમીબેને પોલીસની મદદ માંગી છે અને અમીબેન એ ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 329(3) તથા 54 મુજબ જાગૃતિ રાજીવભાઈ મહેતા અને રાજીવ આર.મહેતા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ ખુલી જગ્યામાં સરા જાહેર જુગાર રમતા 10 શખ્સોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, ગતરોજ નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ મથકે હેઠળના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે વિઠલવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ ખુલી જગ્યામાં રેડ કરતા 10 શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા હાથો હાથ ઝડપાયા હતા, ઝડપાયેલ ઈસમોમાં વિનોદ ખીમજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 33 રહે.સિહોર, મુકેશ મનહરલાલ પરમાર ઉંમર વર્ષ 45 રહે. ભાવનગર, અશોક વીરજીભાઈ બારૈયા ઉંમર વર્ષ.28 રહે ભાવનગર, ગૌતમ નારાયણભાઈ ગીદવાણી ઉંમર વર્ષ 35 રહે.ભાવનગર, હેમરાજ નરેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ.40 રહે.ભાવનગર, મહાવીર રમુભા ગોહિલ ઉંમર વર્ષ.45 રહે.ભાવનગર, રમેશ ખોડાભાઈ ખસિયા ઉંમર વર્ષ.44 રહે.ભાવનગર, વીરભદ્ર ગંભીરસિંહ ગોહિલ ઉંમર.48 રહે.ભાવનગર, પ્રતિપાલ નરેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ.35 રહે.ભાવનગર, અને અશોક રમુભા ગોહિલ ઉંમર વર્ષ 44 રહે.ભાવનગર વાળા ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 27,310 સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાનાં આરે છે. ખર્ચ વધ્યો અને ઉત્પાદન ઘટ્યુંસ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ 30,000થી રૂ35,000 સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ 20,000ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 250થી રૂ. 450 સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. 80થી રૂ.150ની વચ્ચે આવી ગયા છે. હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. 100માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે. કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ, વેપારીઓની ઉદાસીનતામબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાલ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. સરકાર પાસે સહાયની માગવિજાપુર APMCના ચેરમેન રાજુ પટેલે પણ ખેડૂતોની વહારે આવતા સરકારને નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં છે. ત્યારે સરકારે ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય કોઈ રીતે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. હરીપુરાના ખેડૂત ઝવેર પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જો સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખેડૂતોનો સાથ ઈચ્છતી હોય તો સરકારે તુરંત રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોની સામે જોવું જોઈએ.
રાજકોટમાં કાકા-ભત્રીજીના સંબંધને લજવતો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષીય ભત્રીજી પર કૌટુંબિક કાકાએ પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, સગીર ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે કાકા દ્વારા તેને ગર્ભનિરોધક ગોળીએ ખવરાવવામાં આવતી હતી. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાતા આરોપી કાકાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની માતા રિસામણે બેસી હોય તે અને તેના પિતા કાકા સાથે રહેતા હતા. કાકા અને ભત્રીજી જ્યારે ઘર પર એકલા હોય ત્યારે તેનો લાભ ઉઠાવી કુકર્મ આચરતો હતો. પીડિતાને પેટમાં દુઃખાવો ઉપડતા કાકાના પાપનો ઘડો ફૂટ્યોઆ શરમજનક ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બુધવારના રોજ 14 વર્ષની સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રાજકોટ આવીને કામ કરતા પરિવારમાં જ્યારે બાળકીની તબિયત લથડી, ત્યારે તેના પિતાએ તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે આ ગોળીઓ ગર્ભનિરોધક છે. તબીબોએ પિતાને ચેતવણી આપી હતી કે આટલી નાની વયે આવી ગોળીઓના સતત સેવનથી ગર્ભાવસ્થા તો અટકે છે, પરંતુ શરીરમાં ગંભીર ઇન્ફેક્શન અને જીવલેણ જોખમ ઊભું થઈ શકે છે. પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈતબીબોની વાત સાંભળી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે બાળકીને વિશ્વાસમાં લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેણે રડતા રડતા પોતાની સાથે વીતેલી 5 મહિનાની આપવીતી વર્ણવી હતી. સગીરાએ જણાવ્યું કે તેનો કૌટુંબિક કાકો, જે તેમની સાથે જ રહે છે, તે છેલ્લા પાંચ મહિનાથી જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. પાપ છુપાવવા માટે તે બાળકીને સતત ગોળીઓ ખાવા મજબૂર કરતો હતો. પત્ની રિસામણે હોવાથી માસૂમ પર નજર બગાડીપોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 37 વર્ષીય આરોપીની પત્ની છેલ્લા 8 મહિનાથી તેના 4 બાળકો સાથે પિયરમાં રિસામણે રહેવા જતી રહી હતી. ઘરમાં પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી કાકાએ પોતાની જ ભત્રીજી પર નજર બગાડી હતી. પાંચ મહિના પહેલા જ્યારે પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા, ત્યારે આરોપીએ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સતત ધાકધમકી આપીને બાળકીનું શોષણ ચાલુ રાખ્યું હતું. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવીબાળકીના પિતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS ની કલમ 65(1), 351(3) અને પોક્સો એક્ટ (POCSO Act) ની કલમ 4(2) તથા 6(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. પીઆઈ સુધીર રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. સગીરા અને આરોપી ઘરે એકલા હોય ત્યારે કુકર્મ આચરતોરાજકોટનાં બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણેએ જણાવ્યું હતું કે, આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ છેલ્લા 5 માસથી તેના કાકા આ રીતે ભોગ બનનાર સાથે સંબંધો બનાવી રહ્યા હતા અને તેને ગર્ભ રહે નહીં તે માટે અવારનવાર ગોળીઓ પણ ખવડાવતા હતા. આ ઘટના જ્યારે ભોગ બનનાર અને આરોપી એકલા ઘરે હોય એવા સમયે બનતી હતી. તેઓ સંયુક્ત પરિવારમાં એક જ ઘરમાં સાથે રહેતા હતા, જેથી જ્યારે પણ એવો મોકો મળતો અને બંને એકલા હોય ત્યારે આરોપી સમયનો લાભ ઉઠાવી, ધમકાવી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરતો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આ આરોપીની પત્ની છેલ્લા 8 માસથી રિસામણે તેના પિયર મધ્ય પ્રદેશ ખાતે ગયેલી છે અને તે રિસામણે હોવાથી આરોપી અહીં તેના ભાઈ સાથે રહેતો હતો. હાલ પોક્સો સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીના કપડાં કબજે કર્યા છે અને જે સ્થળે આ બનાવ બન્યો છે ત્યાંથી પણ મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. આ સાથે એફએસએલના અધિકારીઓ અને ક્રાઈમ એક્સપર્ટ અધિકારીઓને સાથે રાખીને પુરાવા મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત અગાઉ જ્યારે ભોગ બનનારના પિતાએ આરોપીને મેસેજ કરીને દવાઓ વિશે પૂછ્યું હતું, તે તમામ વોટ્સએપ મેસેજ અને ચેટિંગ રિકવર કરવા માટે આરોપીનો મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે.
બરોડા ડેરીનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાટો પકડી રહ્યું છે. ડેરીમાં આમ તો વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ ગયા છે, પરંતુ ડેસર બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ડેસરની બે દૂધ મંડળીઓને ઓડિટ માટેની નોટિસ આપ્યા બાદ દૂધ મંડળીઓ દ્વારા અવગણના કરાતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રાત્રિના સમયે મામલતદાર તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખીને બંને દૂધ મંડળીઓના તાળા તોડી દફતર કબજે કરવાની કવાયત કરી હતી. 10 માર્ચે નોટિસ પાઠવવામાં આવી હતીઅગાઉ 10 માર્ચના રોજ વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીને જિલ્લા રજિસ્ટર તરફથી ઓડિટ માટેની નોટિસ પાઠવવામાં આવેલી હતી. તેમ છતાં તેઓ દ્વારા મંડળી ઉપર હાજર હોવા છતાં પણ ઓડિટ કરવા દેવામાં આવ્યું નહોતું. તેથી ઓડિટર દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે, જો તમને દફતર ના આપે તો મામલતદારને જાણ કરી કલમ 83 મુજબની નોટિસ આપી પોલીસ પ્રોટેક્શન સાથે દફતર કબજે કરવું. આ હુકમના આધારે બંને મંડળીઓ પર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિમાયેલા ઓડિટરને મોકલી દફતર કબજે કરવાની કામગીરી કરવામાં આવી હતી. મામલતદારે જવાબ આપવાનું ટાળ્યુંસમગ્ર મામલે દિવ્ય ભાસ્કરની ટીમે મામલતદાર સોનલબેનને ફોન કર્યો હતો, ત્યારે તેઓએ આ અંગે રજિસ્ટ્રારને પૂછવા કહ્યું હતું અને સમગ્ર મામલા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, ઓડિટર્સ દ્વારા દૂધ મંડળી ખાતે ઓડિટ કરવા મુલાકાત લેવાઈ હતી, પરંતુ તેઓ દફ્તરનો કબજો આપતા ન હતા, જેથી અમારા ઉપર આ અંગેનો પત્ર આવતા અમારા દ્વારા સ્થાનિક મામલતદારને જાણ કરવામાં આવી હતી અને પોલીસની મદદથી દફ્તર કબજેે લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. MLA ઇનામદાર અને ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગબરોડા ડેરીમાં આમેય સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ભૂતકાળમાં અનેકવાર આરોપો લગાવી ચૂક્યા છે. ત્યારે હાલમાં ડેરીની ચૂંટણી પહેલા ડેસર બેઠક ઉપર પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે. ડેસર બેઠક પર ભાજપે સુરપાલસિંહને મેન્ડેડ આપ્યું છે, ત્યારે કુલદિપસિંહે પક્ષના મેન્ડેડની અવગણના કરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના કટ્ટર હરીફ તરીકે કુલદીપસિંહ ભૂતકાળમાં રહી ચુક્યા છે. ત્યારે આ બેઠક એ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. 2021થી ઓડિટ બાકી હોવાની શક્યતાAઆ બંને દૂધ મંડળીઓના ઓડિટ 2021થી બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો અનુસાર દૂધ મંડળીઓને નોટિસ આપી 1 એપ્રિલ, 2024થી 31 માર્ચ, 2025 સુધીના હિસાબોના ઓડિટ માટેની જાણ કરાઈ હતી. ત્યારે દૂધ મંડળીઓએ એમ જણાવ્યું હતું કે, ચાલુ હિસાબી વર્ષમાં હજુ 15 દિવસ જેટલો સમય બાકી છે, જેથી 31 માર્ચ પછી જરૂરી દસ્તવેજો આપીશું. કારણ કે 2021થી ઓડિટ બાકી છે. ત્યારે તેની સાથે આ હિસાબોનું તાગ કેવી રીતે મેળવી શકાશે તે પણ એક પ્રશ્ન છે. ત્યારે દૂધ મંડળીઓમાં અડધી રાતે તાળા તોડી ઓડિટ કરવાની શું ફરજ પડી તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને પણ શો કોઝ નોટિસબરોડા ડેરીના વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને રાજ્યના સહકારી વિભાગ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અંગેનો જવાબ 13 માર્ચના રોજ આપવાનો હતો. જો કે તેમાં પણ તારીખ પડી છે અને હવે આગામી 23 માર્ચના રોજ આ અંગેનો જવાબ રજૂ કરવામાં આવશે. બરોડા ડેરીની ચૂંટણની આગામી 18 માર્ચના રોજ યોજાશે.
પાટણના જાણીતા ફિઝિશિયન ડૉ. હમીદભાઈ મનસુરીની પુત્રી ડૉ. રિયા મનસુરીએ મુંબઈની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી DM કાર્ડિયોલોજીની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ સાથે તેઓ મનસુરી સમાજના પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બન્યા છે, જેનાથી પાટણનું ગૌરવ વધ્યું છે. ડૉ. રિયાએ તબીબી ક્ષેત્રે આ ઉચ્ચ સિદ્ધિ તેમના માતા-પિતા, ડૉ. હમીદ મનસુરી અને મુમતાઝ મનસુરીના માર્ગદર્શન હેઠળ મેળવી છે. તેમણે પોતાનો પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અભ્યાસ પણ આ જ ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી પૂર્ણ કર્યો હતો. તેમની આ સફળતા બદલ મનસુરી સમાજ સેવા મંડળ, પાટણ અને મન્સુર હેલ્પીંગ હેન્ડ પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ડૉ. રિયાની આ સિદ્ધિએ તબીબી જગતમાં પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. રાજ્યમાં કુપોષણ ઘટાડવાના સરકારના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં હજારો બાળકો કુપોષિત હોવાના આંકડા સામે આવતા ગૃહમાં તીવ્ર ચર્ચા જોવા મળી હતી. વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણમુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આહાર પદ્ધતિમાં આવેલા બદલાવ અને કેટલીક સ્થાનિક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ કુપોષણ જોવા મળે છે. આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી. સાબરકાંઠા જિલ્લામાં 16 હજારથી વધુ બાળકો કુપોષિતઆ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુપોષણના આંકડાઓ રજૂ કરતાં મંત્રીએ જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં અનેક તાલુકાઓમાં 6412 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં લગભગ 16 હજારથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે બાયડ વિસ્તારમાં 853 બાળકો કુપોષિત છે. મંત્રી મનીષા વકીલને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડીઆ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. મેવાણી અને મંત્રી મનીષા વકીલ વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હોવાનો માહોલ ઉભો થયો હતો. ‘આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટિફાઇડ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે’ચર્ચા દરમિયાન સરકાર તરફથી જણાવાયું હતું કે રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટિફાઇડ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કુપોષિત બાળકો માટે ખાસ પોષણ સહાય અને આરોગ્ય સેવા પણ આપવામાં આવી રહી છે. ‘વિધવા સહાયમાં છેલ્લા 6 મહિનામાં લાભાર્થીઓની સંખ્યા કેમ ઘટી’બીજી તરફ ગૃહમાં વિધવા સહાય યોજના અંગેનો મુદ્દો પણ ગરમાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવી પૂછ્યું હતું કે વર્ષ 2025ના છેલ્લા છ મહિનામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા કેમ ઘટી છે. તેમણે દાવો કર્યો હતો કે અગાઉ આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધુ હતી. ‘દરેક પાત્ર મહિલાને યોજનાનો લાભ મળી રહ્યો છે’આ પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અગાઉ ઇન્દિરા ગાંધી પેન્શન યોજના હેઠળ આવતી બહેનોને હવે ગંગા સ્વરૂપ યોજનામાં માઇગ્રેટ કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25 દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થી બહેનોને ગંગા સ્વરૂપ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજ્યની દરેક પાત્ર મહિલાને યોજનાનો લાભ મળી રહ્યો છે. પ્રશ્ન પૂછનાર અનેક ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહેતા અધ્યક્ષે નોંધ લીધીચર્ચા દરમિયાન અધ્યક્ષે નોંધ્યું કે પ્રશ્ન પૂછનાર અનેક ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહે છે. આ બાબતે તેમણે બંને પક્ષોના દંડકોને વિનંતી કરી કે પ્રશ્ન પૂછનાર ધારાસભ્યો ગૃહમાં હાજર રહે તેવી સભ્યોને સૂચના આપવામાં આવે, કારણ કે ગેરહાજરી યોગ્ય નથી. આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણની સ્થિતિ પર સવાલ ઉઠ્યાવિધાનસભામાં કુપોષણના આંકડાઓ સામે આવતા ખાસ કરીને ઉત્તર ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગેની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.
સાયલેન્સર ચોર ગેંગનો તરખાટ:સેકટર 13માં નંબર પ્લેટ વગરની I-20 કારમાં આવી બે ઈકોના સાયલેન્સર ચોરી ફરાર
ગાંધીનગરના સેક્ટર-13 વિસ્તારમાં તસ્કરો રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી બે મારુતિ ઇકો ગાડીઓમાંથી સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઇ જતા સ્થાનિકોમાં પોતાના વાહનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઈ ગયો છે. આ મામલે સેક્ટર-13માં રહેતા વેપારી અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાડોશીએ ચોરીની જાણ કરીગાંધીનગરના સેક્ટર 13/એ, પ્લોટ નંબર 673/2 માં રહેતાને ચીઝ પનીરનો ધંધો કરતા બિજેશ પરમારે પોતાની ઇકો ગાડી ગત 29 ડિસેમ્બર, 2025ના સાંજે સેક્ટર-13ના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે જ્યારે પડોશમાં રહેતા કમલેશ પરમારે તેમની ગાડીનું સાયલેન્સર ચોરાયું હોવાની જાણ કરી ત્યારે બિજેશ પરમારે પોતાની ગાડી તપાસતા તેમાંથી પણ સાયલેન્સર ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદબાદમાં ગાડી ચાલુ કરતા જ અવાજ બદલાઈ ગયો હતો અને નીચે જોતા બોલ્ટ ખુલ્લા હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટના પાડોશમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક સફેદ કલરની આઈ-20 ગાડી ત્યાં આવી પહોંચી હતી. આ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉતરીને બંને ઇકો ગાડીઓના કુલ 60 હજારની કિંમતના સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીઆ ઘટના અંગે શરૂઆતમાં ખાનગી રાહે તપાસ કર્યા બાદ અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પોલીસ ફરિયાદનો આગ્રહ રાખવામાં આવતા આખરે ભોગ બનનાર વેપારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સુરત પોલીસે ત્રણ રાજ્યની જેલોમાં ઓપરેશન પાર પાડીને વર્ષોથી નાસતા-ફરતા ત્રણ ખતરનાક આરોપીઓને શોધી કાઢ્યા છે. જેમાં વરાછાની 2 કરોડની લૂંટનો મુખ્ય સૂત્રધાર, પોક્સો એક્ટનો આરોપી અને 12 વર્ષથી વોન્ટેડ વાહન ચોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપી અલગ-અલગ ગુનાઓમાં મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનની જેલોમાં કેદ હોવાનું ટેકનિકલ સર્વેલન્સની મદદથી સામે આવ્યું છે. વરાછાની 2 કરોડની 'ક્રિપ્ટો' લૂંટનો માસ્ટર માઈન્ડ પકડાયોવરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ₹2 કરોડની લૂંટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મોહમદ જવાદ ફારૂખભાઇ બોરા હાલ નાગપુર મધ્યસ્થ જેલમાં હોવાનું બહાર આવ્યું છે. 2022માં આરોપીઓએ 'શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ' નામે ફેક આંગડિયા પેઢી ખોલી હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને સુરત બોલાવ્યા હતા. વેપારી 6 કરોડ રોકડા લઈને આવ્યા ત્યારે આરોપીઓએ ફેક સ્ક્રીનશોટ બતાવી ઝપાઝપી કરી 2 કરોડની લૂંટ ચલાવી હતી. આરોપી જવાદ મહારાષ્ટ્રમાં પણ છેતરપિંડીના અનેક ગુનામાં સંડોવાયેલો છે. સગીરા પર દુષ્કર્મ ગુજારી બિહાર ભાગી ગયેલો સુરજ જેલભેગોઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર (POCSO)ના ગુનાનો આરોપી સુરજ સુબોધ સીંગ પણ પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપીએ 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ભોગ બનનાર સગીરા મળી આવી હતી, પરંતુ સુરજ ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે તે બિહારની મોતીહારી મધ્યસ્થ જેલમાં ખૂનના કેસમાં બંધ છે. તેની સામે બિહારમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 12 વર્ષથી વોન્ટેડ 'ડોન' જેવો વાહન ચોર રાજસ્થાનની જેલમાંથી મળ્યોખટોદરા પોલીસ મથકમાં 2012માં થયેલી બોલેરો ગાડીની ચોરીના કેસમાં 12 વર્ષથી નાસતો ફરતો રાજુરામ બાદરારામ બિશ્નોઇ આખરે ટ્રેસ થયો છે. ડુપ્લીકેટ ચાવીથી ગાડી ચોરી કરનાર આ આરોપી સામે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં મળીને કુલ 32થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, હત્યાની કોશિશ, NDPS (ડ્રગ્સ), લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો આ રીઢો ગુનેગાર હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ હોવાનું ખૂલ્યું છે. પોલીસનો એક્શન પ્લાન: હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સજે આરોપીઓ લાંબા સમયથી પકડાતા નહોતા, તેમના વતનના સરનામા અને સગા-સંબંધીઓની વિગતો ખાનગી બાતમીદારો દ્વારા મેળવવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ વર્કઆઉટ કરતા માલૂમ પડ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ અન્ય રાજ્યોમાં ગુના આચરી જેલમાં સજા કાપી રહ્યા છે અથવા કાચા કામના કેદી તરીકે બંધ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસપકડાયેલા આરોપીઓ પૈકી રાજુરામ બિશ્નોઇનો ઇતિહાસ સૌથી ચોંકાવનારો છે. તેની સામે રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં ડ્રગ્સની હેરાફેરીના 10થી વધુ કેસ, હત્યાના પ્રયાસના 5 કેસ અને લૂંટના અનેક કેસ નોંધાયેલા છે. તેવી જ રીતે મોહમદ જવાદ મહારાષ્ટ્રમાં ફેક ડોક્યુમેન્ટ્સ અને છેતરપિંડીના 5 ગુનામાં સંડોવાયેલો છે. આ ગુનેગારો જેલમાંથી બહાર આવીને ફરી સુરતમાં ગુના આચરે તે પહેલા જ સુરત પોલીસે તેમને 'ટ્રેસ' કરી લીધા છે. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડની તજવીજક્રાઈમ બ્રાંચે આ ત્રણેય આરોપીઓને જે તે રાજ્યની જેલોમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વરાછા, ઉમરા અને ખટોદરા પોલીસ મથકોને જાણ કરી દેવામાં આવી છે. નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવીને ટૂંક સમયમાં પોલીસની ટીમ નાગપુર, મોતીહારી અને જોધપુર રવાના થશે અને આરોપીઓનો કબજો મેળવી સુરત લાવશે.
હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં શનિવારે ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ, 15 માર્ચ, નિમિત્તે યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય એસ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો વિશે જાગૃત કરાયા. કાર્યક્રમની શરૂઆત વ્યાયામ શિક્ષક બી.આર.પટેલ દ્વારા યોગ અને પ્રાણાયામથી કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા, જાગૃતિ અને ગ્રાહકના અધિકારો વિશે આચાર્ય એસ.એસ.પટેલ, ડી.પી.ભટ્ટ, જે.એમ.શાહ અને વાય.આઈ.જોશી દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાની કન્ઝ્યુમર ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સુપરવાઇઝર એસ.કે.મનાત, પી.જે. મહેતા, સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સુપરવાઇઝર એસ.કે.મનાત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ ભાવનગરમાં હીટવેવની અસરો વર્તાવા લાગી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે જેમાં રાજમાર્ગો પર અવર-જવર કરતા લોકો માટે પીવાના પાણી અને ઓ.આર.એસ. (ORS) ની સુવિધા સાથેના જુદાં જુદાં 22 સ્થળોએ મંડપ અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ હીટસ્ટ્રોકથી બચવા માટે તંત્રએ ગાઈડલાઈન જાહેર કરી નાગરિકોને સાવચેતી રાખવા અને તડકાથી બચવા ખાસ અપીલ કરવામાં આવી છે, તંત્ર દ્વારા શહેરના નીચે મુજબના 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં નિલમબાગ સર્કલ, R.T.O. સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, મંત્રેશ સર્કલ, Top 3 સર્કલ, રામમંત્ર મંદિર સર્કલ, ભગવતી સર્કલ, કુંભારવાડા સર્કલ, બોરડી ગેટ ચોક, ગંગાજળિયા તળાવ, ખારગેટ ચોક, શિશુવિહાર સર્કલ, કાળાનાળા સર્કલ, જશોનાથ સર્કલ, લીલા સર્કલ, વિરાણી સર્કલ, દિલબહાર ESR, ક્રેસન્ટ સર્કલ તથા ચાવડી ગેટ ચોક સહિતના સ્થળો પર ઉપલબ્ધ છે, આ અંગે આરોગ્ય અધિકારી આર.કે.સિન્હાએ જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે ગરમીના કારણે હીટસ્ટ્રોક અને લૂ લાગવાના ચાન્સીસ હોય ત્યારે એના માટે ખાસ કરીને અમે પબ્લિકને સાવચેતી માટે એવું રાખીએ છીએ કે ખુલ્લા પગે ન ચાલવું, તડકામાં ના નીકળવું, બહુ જરૂરી હોય તો જ માર્કેટમાં કે કોઈપણ કામ હોય એ માટે જવાનું રાખવું, નહીતર જરૂર ન હોય બહાર જવાનું ટાળવું. અને સાથે-સાથે ટોપી પહેરવી, પાણીનો ખૂબ વપરાશ વધારે રાખવો. તરસ લાગે કે ન લાગે પાણી પીવાનું રાખવાનું, છાયડામાં ચાલવાનું, જરૂર હોય તો છત્રી લઈને ચાલવું, તો એનાથી હીટસ્ટ્રોક અને લૂ લાગવાના ચાન્સીસમાં ઘટાડો થાય અને લીંબુ પાણી જે આપણા દેશી છે એ પીવાનું રાખીએ તો વધારે સારું અને ઉનાળામાં વધારે પડતી સુગરની વસ્તુઓ જેવી કે ચા અને કોલ્ડ ડ્રિંક્સ હોય તો એનું સેવન ટાળવું જોઈએ.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને 'QFON એપ' ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ), 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીે 20 માર્ચ, 2026 સુધી એટલે કે 8 દિવસ EDની કસ્ટડીમાં રહેશે. ઓપરેશન દરમિયાન શું મળી આવ્યું?EDની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણેથી કુલ ₹2.51 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ કબજે લેવાયા છે. શું હતું 'QFON એપ' કૌભાંડ?આ કેસની શરૂઆત મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પરથી થઈ હતી. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2%થી 10.5% જેટલા માતબર વળતરની લાલચ આપી હતી. આ એક ક્લાસિક 'પોન્ઝી સ્કીમ' હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને રિટર્ન આપવા માટે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹183 કરોડની ગેરકાયદેસર આવક (Proceeds of Crime) સામે આવી છે. દુબઈથી નેપાળ થઈ ભારત પરત ફર્યા હતા આરોપીઓસૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા. જોકે, તાજેતરમાં તેઓ નેપાળના રસ્તે ચોરીછૂપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ EDએ વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા. કોર્ટે 20 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાધરપકડ કરાયેલા સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીને 20 માર્ચ, 2026 સુધી એટલે કે 8 દિવસની ED કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે.
જામનગર જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 17 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ઘટના વર્ષ 2022માં બની હતી. કેસની વિગતો અનુસાર, વર્ષ 2022માં ઉત્તર ગુજરાતના એક જિલ્લામાંથી ખેતમજૂર પરિવાર લાલપુર તાલુકાના એક ગામમાં મજૂરી કરવા આવ્યો હતો. આ દરમિયાન ખેતમજૂર દંપતી વતનમાં ગયા હતા, ત્યારે તેમની 3 વર્ષ અને 1 માસની પુત્રીને કનુ કજભાઈ બારીયા નામના શખ્સે લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી કનુ કજભાઈ બારીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) કાયદા હેઠળની ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ પોક્સો અદાલતમાં ચાલી જતાં, પુરાવાઓ અને સરકારી વકીલ મુકેશભાઈ જાનીની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે બંને પક્ષોને સાંભળ્યા હતા. અદાલતે આરોપીને દોષિત ઠેરવી અપહરણના ગુનામાં 7 વર્ષની અને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા તેમજ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
રાજકોટની AIIMS હોસ્પિટલના MBBS ના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે પરાપીપળીયા રેલવે ફાટક પાસે આજે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તેમની પાસેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે. આ યુવાને દોઢ માસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે તે વખતે પરાપીપળીયાના ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો પરંતુ આ વખતે તે જ જગ્યાએ આપઘાત કરવા પહોચેલા યુવાનને કોઈ બચાવી ન શક્યું. પુત્રના સ્યુસાઇડની જાણ થતા રાજસ્થાન રહેતા માતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. મૂળ રાજસ્થાનનો અને હાલ રાજકોટની AIIMS હોસ્પિટનો MBBS નો વિદ્યાર્થી આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4.45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. હાલ આ યુવાનના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂડ રાજસ્થાનનું હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જેથી તેઓ રાજસ્થાનથી નીકળી ગયા છે અને તેમના આવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને બેસેલા યુવાનના સ્યુસાઇડથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે. મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલ્વે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. મેડિકલનો વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરે તે પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. AIIMS હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આ યુવાન મેન્ટલી ડિસ્ટર્બ હતો અને તે વખતે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ તેના માતા પિતાને ત્યાં મોકલી દેવાયો હતો. જે પછી આ યુવાન AIIMS હોસ્પિટલના કેમ્પસમાં રહેતો ન હતો. જોકે પોલીસનું કહેવું છે કે, તે મેડિકલ હોસ્ટેલમાં જ રહેતો હતો અને વોર્ડને જ આ વિદ્યાર્થી છાત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. હાલ યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે મેડિકલના વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે.
છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોક ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગણી કરતા વીડિયો શેર કર્યા બાદ, મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું હતો સમગ્ર મામલો? રાધનપુરના સિનાડ ગામની વતની અને 'કોયલ કંઠી' ગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. કિંજલે આક્ષેપ કર્યો હતો કે, તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેને મારી નાખવાની અને અપહરણની ધમકીઓ મળી રહી છે. તેણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે સુરક્ષાની માગ કરી હતી. એટલું જ નહીં તેણે સમાજના બેવડા ધોરણો પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી હું કમાતી હતી ત્યાં સુધી સારી હતી, પણ અંગત નિર્ણય લીધો તો હું ખોટી થઈ ગઈ? સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપવાની બાહેંધરી આપી હતી. મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા અને કિંજલને તેના પિયર પક્ષ (પરિવાર)ને સોંપી દેવામાં આવી છે. જે વીડિયોમાં કિંજલ મક્કમતાથી કાયદાકીય લડત આપવાની વાતો કરતી હતી, તે તમામ વીડિયો અને પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ પરથી ડીલીટ કરી દીધા છે. ચર્ચા અને સવાલો કિંજલ રબારીએ અગાઉ વીડિયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે પોતાની મરજીથી સાસરે ગઈ છે અને વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જોકે, અચાનક પોસ્ટ ડીલીટ થવી અને તેને પરિવારને સોંપી દેવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શું આ સમાધાન કિંજલની મરજીથી થયું છે કે પછી સામાજિક દબાણ હેઠળ તે મોટો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. કોણ છે કિંજલ રબારી? એક સામાન્ય પરિવારમાંથી આવતી કિંજલે રાધનપુરની સરકારી શાળામાંથી સંગીતની સફર શરૂ કરી હતી. ભજન અને લગ્ન ગીતો દ્વારા તેણે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે. તેના ભાઈ અને શાળાના શિક્ષકોના પ્રોત્સાહનથી તે આજે જાણીતી લોક કલાકાર બની છે. હાલ પૂરતો આ વિવાદ થાળે પડ્યો હોય તેમ લાગે છે, પરંતુ એક ગાયિકા જેણે પોતાની સુરક્ષા માટે સરકાર પાસે ગુહાર લગાવી હતી, તેનું ફરી પરિવાર પાસે પરત ફરવું એ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકના નિર્દેશ હેઠળ, જિલ્લા પુરવઠા વિભાગે સાયલા અને પાટડી તાલુકાઓની ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરના સીધા સંકલન હેઠળ આ તપાસ હાથ ધરાઈ હતી. સાયલા અને પાટડી તાલુકાઓમાં આવેલી ગેસ એજન્સીઓના ગોડાઉન અને વિતરણ કેન્દ્રો પર ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, એજન્સીઓ દ્વારા રાખવામાં આવતા સ્ટોક રજિસ્ટરની પણ ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. સરકારી નિયમો મુજબ, સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલ વિગતો અને વાસ્તવિક જથ્થા વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તે તપાસવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે.
ખનિજ ચોરીનો આરોપી જેલ હવાલે:ચોટીલા નાયબ કલેક્ટરે પ્રતાપ બોરીચાને લીંબડી સબ જેલમાં મોકલ્યો
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર ખનિજ ચોરી અને સરકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવાના આરોપી પ્રતાપ ઉર્ફે લાલો આપાભાઈ બોરીચા (રહે. થાનગઢ) ને લીંબડી સબ જેલ હવાલે કર્યો છે. આરોપી જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, ગત તારીખ 24 ડિસેમ્બર, 2025 ના રોજ ચોટીલા મામલતદાર કચેરીનો સ્ટાફ તપાસના કામે હતો. તે દરમિયાન આરોપી પ્રતાપ બોરીચા કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો અને ગેરકાયદેસર ખનિજ ચોરી માટે રેકી કરતો હતો. જ્યારે કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેમની સાથે ઝપાઝપી કરી, માથાકૂટ કરી અને ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ 26 ડિસેમ્બર, 2025 ના રોજ આરોપીની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કર્યું હતું. થાનગઢ પોલીસે આરોપીને ધરપકડ વોરંટની અમલવારી માટે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (1) મુજબ આરોપીને 26 ડિસેમ્બર, 2026 ના રોજ ઇસ્યુ કરાયેલો હુકમ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 135 (3) હેઠળ તપાસ હાથ ધરી, આરોપીને સરકારી કર્મચારી વર્ગ 3 ના રૂપિયા 50,000 ના જામીન રજૂ કરવાનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો, જે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માન્ય રહે. જોકે, પ્રતાપ ઉર્ફે લાલો બોરીચા માંગ્યા મુજબના જામીન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આથી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આરોપીનું જેલ વોરંટ ભરી થાનગઢ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.સી. ચાવડાને બજવણી અર્થે આપી, આરોપીને લીંબડી સબ જેલ હવાલે મોકલી આપ્યો હતો.
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની ધના સુથારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકે રેડ પાડી હતી. અંબાજી માતાના મંદિર પાસે આવેલી ચોખાવટીયાની પોળમાં ચાલતી આ મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કાલુપુર પોલીસ દોડતી થઈ હતી, જોકે પોલીસે મહેફિલના બદલે માત્ર પીધેલાનો ગુનો નોંધી સંતોષ માનતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે. પરપ્રાંતિય કારીગરોની પોલીસ નોંધણી અને મકાનમાલિકોની બેદરકારી સામે પણ સવાલો ઉભા થયા છે. દારૂ અને નોનવેજની મહેફિલને લઈને સ્થાનિકે દરોડો પાડ્યોઅમદાવાદના કોટ વિસ્તાર એવા ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં ચાંદીની ભઠ્ઠીઓ આવેલી છે, જેમાં બંગાળ અને અન્ય રાજ્યોમાંથી કારીગરો નોકરી માટે આવતા હોય છે. કાલુપુરના ધના સુથારની પોળમાં મકાનમાં રહેતા બંગાળીઓ દ્વારા દારૂ અને નોનવેજની મહેફિલ માણવામાં આવતી હોવાને લઈને સ્થાનિકે દરોડો પાડ્યો હતો. 'દારૂની મહેફિલનો નહીં પરંતુ પીધેલાનો કેસ કર્યો'કાલુપુર પોલીસ સ્ટેશનના PI એચ. આર વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા જેથી તેમના સામે દારૂની મહેફિલનો નહીં પરંતુ પીધેલાનો કેસ કર્યો છે અને તેઓ રોજ રૂટિનમાં નોનવેજ ખાતા જ હોય છે. બંગાળી કારીગરોની અને ભાડે રહેતા હોવા અંગેની પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવી છે કે નહીં એની તપાસ કરવી પડશે. જો નોંધણી નહીં કરવામાં આવેલી હોય તો મકાનમાલિક વિરુદ્ધ કાર્યવાહી કરીશું. ભૂતકાળમાં રજૂઆતો આવી હતી ત્યારે અમે કાર્યવાહી કરી હતી. અત્યારે હાલમાં કોઈ રજૂઆત આવી નથી. ત્રણ-ચાર લોકો બેસીને દારૂ નોનવેજ ખાઈ રહ્યાં હતાઅમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં ચોખાવટીયાની પોળ આવેલી છે. જેમાં એક મકાનમાં કેટલાક બંગાળી કારીગરો રહે છે, જેનાથી સ્થાનિક મૂળના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. પરપ્રાંતિયો બહારથી લોકોને બોલાવીને દારૂની મહેફિલ માણતા હોવાને લઈને ગઈકાલે 13 માર્ચના રોજ મોડી રાત્રે સ્થાનિક રહીશ દ્વારા બંગાળી કારીગરોની રાત્રે ચાલતી દારૂ અને નોનવેજની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. પોલીસને દારૂની મહેફિલ ચાલતી હોવાથી અંગે જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વ્યક્તિએ વીડિયો પણ ઉતાર્યો હતો. જેમાં દારૂના ક્વાર્ટર પડેલા હતા અને ત્રણથી ચાર લોકો બેસીને નોનવેજ પણ ખાઈ રહ્યાં હોવાનું બતાવવામાં આવ્યું હતું. સ્થાનિકે ઉતારેલા વીડિયોમાં ઘરની સ્થિતિ શું હતી?યુવકે વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે ત્યાં ત્રણ લોકો નોનવેજ જમવા બેઠા હતા જ્યારે બાજુમાં એક-બે વ્યક્તિ નશાની હાલતમાં બેઠા દેખાઈ રહ્યાં હતા. સાથે દારૂના ક્વાર્ટર પણ વીડિયોમાં દેખાડતા યુવક બોલતો હતો કે, દારૂ પીવાના ધંધા કરો છો, પીવા માટે લોકોને બહારથી બોલાવો છો અને ગાડીઓ વચ્ચે મૂકી દો છો. જુઓ આ બધા બહારથી આવીને દારૂ પીવે છે. બંગાળી સમાજના લોકોને લોકો ઘર આપે છે અને બધા દારૂ પીવે છે. આમના શેઠને બોલાવો. બે-ત્રણ વાગ્યા સુધી ગાડીઓ વચ્ચે મુકો છો અને આ બધા ધંધા કરો છો. બધાને કાલુપુર પોલીસમાં આપવાના છે. 'સાહેબ સામે ઊભા છે અને કાયદો હાથમાં લઈ લઉં એવું થઈ ગયું છે'જ્યારે અન્ય એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો જેમાં નોનવેજ ખાય છે અને પોલીસ આવ્યા એટલે નોનવેજ સંતાડી દીધું. સાહેબ સામે ઊભા છે અને કાયદો હાથમાં લઈ લઉં એવું થઈ ગયું છે. દારૂના બાટલા પણ મળ્યા છે. ભાડે કેટલા લોકો રહે છે એ તો ખબર જ નથી. લોકોને બહારથી બોલાવીને નોનવેજ ખાય છે અને દારૂ પીવે છે. યુવકે આ વીડિયો બનાવી વાઇરલ પણ કર્યો હતો અને પોલીસને આપવામાં આવતા કાલુપુર પોલીસે દારૂ પીધેલા હોવા અંગેનો કેસ કર્યો છે. પોલીસની નિષ્ક્રિયતાને લઈ સ્થાનિકોએ જાતે રેડ પાડવી પડે તેવી સ્થિતિકાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર કોટ વિસ્તાર છે, જેમાં અનેક નાના મોટા ગોડાઉન આવેલા છે. જેમાં બહારથી પરપ્રાંતિય લોકો કારીગર તરીકે નોકરી કરે છે અને કેટલાક લોકો મકાન ભાડે રાખીને રહે છે. વારંવાર કારીગરો માલ સામાન અને પૈસા લઈને જતા રહેતા હોવા અંગેની પણ ઘટના બને છે, જ્યારે મકાન ભાડે રાખેલા હોય છે તેમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, પરંતુ કાલુપુર પોલીસની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક લોકોને જાતે દરોડા પાડવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જે લોકો દુકાનો ગોડાઉનમાં બહારના રાજ્યમાંથી આવતા કારીગરોને નોકરીએ રાખે છે તેમની નોંધણી કરાવીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે, પરંતુ મોટાભાગના કારીગરોની કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધ ન હોવા અંગેનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જેનાથી પરેશાન થયેલા લોકોને હવે થોડો રાહતનો અહેસાસ થયો છે. પવનની દિશામાં બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ 18 અને 19 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન હજુ ઘટશેગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો આકરો તાપ સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 4થી 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. હવે પવનની દિશામાં ફેરફાર થતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યુંછેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતવાસીઓને આજથી એટલે કે, 14 માર્ચથી ગરમીમાંથી આશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ અનેક વિવિધ જિલ્લાઓમાં માવઠાંની આગાહીહવામાન વિભાગ મુજબ 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
લોઢવાથી દ્વારકા 260 કિમી પદયાત્રા શરૂ:300થી વધુ ભક્તોનો સંઘ આઠ દિવસમાં પહોંચશે
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકાધીશના દર્શનાર્થે એક વિશાળ પગપાળા સંઘ રવાના થયો છે. આ સંઘમાં લોઢવા ગામના 300થી વધુ ભક્તો જોડાયા છે, જેઓ આશરે 260 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને પવિત્ર ધામ દ્વારકા પહોંચશે. ઉનાળાની ગરમી હોવા છતાં ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી રહી છે. યાત્રા દરમિયાન ભક્તો ભજન-કીર્તન, ભગવાનના નામસ્મરણ અને સામૂહિક ભોજન સાથે ભક્તિમય વાતાવરણમાં આગળ વધી રહ્યા છે. આ સંઘ આશરે આઠ દિવસમાં પોતાની યાત્રા પૂર્ણ કરીને દ્વારકા પહોંચશે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. માર્ગમાં આવતા વિવિધ ગામોમાં ભક્તો આરામ કરશે, જ્યાં નાના ધાર્મિક કાર્યક્રમો, ભજન સંધ્યા અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવશે. આ પગપાળા યાત્રામાં ગામના યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. ખાસ કરીને યુવાનોમાં યાત્રાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી, જેના કારણે સમગ્ર લોઢવા ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો. યાત્રા શરૂ થતા પહેલા 'જય દ્વારકાધીશ'ના જયઘોષ સાથે ભક્તોને વિદાય આપવામાં આવી હતી. સંઘને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા અને ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. લોઢવા ગામથી દ્વારકા સુધીની આ પવિત્ર પગપાળા યાત્રા ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક એકતાનો સંદેશ આપે છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝાના મસાલા બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતાને પગલે ઊંઝાના વેપારીઓના કરોડો રૂપિયા દરિયાની વચ્ચે અટવાઈ જતાં સમગ્ર વેપારી આલમમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ વ્યાપી ગયો છે. ઊંઝાથી વિદેશ મોકલાયેલો માલ અટવાયોહાલની પરિસ્થિતિ મુજબ ઊંઝાથી વિદેશ મોકલવામાં આવેલા અંદાજે 200થી 250 જેટલા કન્ટેનરો ટ્રાન્ઝિટમાં અટવાઈ ગયા છે. આ કન્ટેનરોમાં જીરું અને વરિયાળી સહિતના કિંમતી મસાલાઓનો જથ્થો ભરાયેલો છે. માલ સમયસર ગંતવ્ય સ્થાને ન પહોંચવાને કારણે અને પેમેન્ટ અટકી જવાથી વેપારીઓની અંદાજે રૂ 200થી 500 કરોડ જેવી માતબર રકમ ફસાઈ હોવાનું જાણવા મળે છે. વીમા કંપનીઓએ હાથ ઉંચા કરી દેતા નિકાસકારોની મુશ્કેલી વધીસૌથી ગંભીર સ્થિતિ વીમા ક્ષેત્રે સર્જાઈ છે. યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ પણ વીમા કંપની શિપિંગ લાઇન માટે વીમો લેવા તૈયાર નથી. વીમા વગર આંતરરાષ્ટ્રીય બજારમાં માલ મોકલવો અત્યંત જોખમી હોવાથી ઊંઝાથી થતી મસાલાની નિકાસ હાલમાં લગભગ અશક્ય બની ગઈ છે. નિકાસકારો માટે આ સ્થિતિ 'પડતા પર પાટું' સમાન સાબિત થઈ રહી છે. શિપિંગ ભાડામાં તોતિંગ વધારોઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલના જણાવ્યા અનુસાર ઊંઝામાં થતા કુલ મસાલા વેપારના 40થી 45% હિસ્સો નિકાસ પર નિર્ભર છે. ખાડી યુદ્ધની સ્થિતિને કારણે નિકાસમાં મોટો અવરોધ આવ્યો છે. જે શિપિંગ લાઇનના ભાડા અગાઉ 1500 ડોલર આસપાસ હતા, તે વધીને હવે 4500થી 5000 ડોલર સુધી પહોંચી ગયા છે. વધુમાં, ઇન્શ્યોરન્સ મળવો મુશ્કેલ હોવાથી નિકાસનો કારોબાર અત્યારે લગભગ ઠપ્પ જેવો છે. ખેડૂતો પર આર્થિક ફટકાની ભીતિજોકે હાલમાં સ્થાનિક (ડોમેસ્ટિક) માગ સારી છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેની માઠી અસર ખેડૂતો પર પણ પડશે. હાલ ગુજરાતમાંથી દરરોજ 25થી 30 હજાર બોરીની આવક થઈ રહી છે અને ખેડૂતોને રૂ. 3800થી 4500 સુધીના ભાવ મળી રહ્યા છે. શિપિંગ લાઈનો 4 હજાર ડોલર વોર સરચાર્જના નામે ઉઘરાવી રહી છે: અશ્વિન નાયકફાઉન્ડર ચેરમેન FISS અને ઈસબગુલ એસોસિયેશનના પ્રમુખ અશ્વિન નાયકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અમારી સંસ્થા જે FISS છે એમાં 600થી વધારે મેમ્બરો છે. એમાં 100થી 150 એક્સપોર્ટર અને બાકીના 400થી 450 આખા ભારતમાં વેપાર કરવાવાળા વેપારીઓ જોડાયેલા છે. છેલ્લા 15 દિવસથી યુદ્ધની જે પરિસ્થિતિ ઉભી થઈ છે એના કારણે જે 100થી 150 અમારા એક્સપોર્ટરો છે એ બધા જ અત્યારે તકલીફમાં છે. ‘શિપમેન્ટો દોઢા-બમણા ભાડામાં જઈ રહ્યા છે’એના સિવાય જે કન્ટેનરો નવા મોકલવાના હોય એના ઉપર તો 4થી 5 હજાર ડોલર માગે જ છે પર્ટીક્યુલરલી મિડલ ઈસ્ટ માટે. પણ જે ચઢી ગયા હતા એના ઉપર પણ એ લોકો વોર સરચાર્જ લે છે. આ દેશ સિવાય યુરોપ, અમેરિકા અને દુનિયાના જે બાકીના દેશો છે એમાં જે 1200-1500 ડોલરનું કન્ટેનર હતું, એના અત્યારે 2500-3000 ડોલર ભાડા શિપિંગ લાઈનો માગી રહી છે અને આ શિપમેન્ટો હવે દોઢા-બમણા ભાડામાં જઈ રહ્યા છે. ‘10,000 કરોડથી વધારેનું એક્સપોર્ટ માત્ર ઉત્તર ગુજરાતમાંથી થાય છે’ઉત્તર ગુજરાતમાંથી જીરું, વરિયાળી, મેથી, ધાણા, તલ અને ઈસબગુલ આ બધી જ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં એક્સપોર્ટ થાય છે. 10,000 કરોડથી વધારેનું એક્સપોર્ટ ખાલી ઉત્તર ગુજરાતમાંથી આ બધી પ્રોડક્ટ્સનું થાય છે. ‘પેમેન્ટ સાયકલ અટકી પડી’કન્ટેનરોમાં એક તો જે વધારાના ભાડા માંગી રહ્યા છે એના લીધે દરેક કન્ટેનરે 4થી 5 લાખથી વધારે ભાડા ચૂકવવા પડી રહ્યા છે અને પેમેન્ટની જે સાયકલ હતી એ પણ અટકી ગઈ છે. માર્ચ મહિનો આપણો અકાઉન્ટિંગ વર્ષ ક્લોઝિંગનો છે અને એના લીધે અત્યારે મુશ્કેલીઓ વધી રહી છે. ‘સરકાર ઇન્ટરફિયર કરી શિપિંગ લાઈનોને સૂચના આપે’અમારી માંગણી છે કે સરકાર આમાં ઇન્ટરફિયર કરીને શિપિંગ લાઈનોને સૂચના આપે કે વોર સરચાર્જના નામે લૂંટ ના ચલાવે. શિપિંગ લાઈનો અને વેપારીઓ વચ્ચે સમન્વય રહે એના માટે જો સરકાર કામ કરે તો આપણું એક્સપોર્ટ વધારે ઇફેક્ટ થયા વગર એક્સપોર્ટરોને નુકશાન વગર ચાલતું રહે. ‘મહિનામાં 25થી 30 ટ્રક કે કન્ટેનરની મુવમેન્ટ થતી હતી, એ અત્યારે 5થી 10 પર આવી ગઈ’વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં છે, પૈસાની સાયકલ અને માલોની મુવમેન્ટ અટકી ગઈ છે. મહિનામાં જે 25થી 30 ટ્રક કે કન્ટેનરની મુવમેન્ટ થતી હતી એ અત્યારે 5થી 10 કન્ટેનર પર આવી ગઈ છે. માર્ચ મહિનામાં જે નવો પાક આવવાની સિઝન હોય ત્યારે આવી મુશ્કેલીના લીધે ખેડૂતોને પણ માલના યોગ્ય ભાવ નથી મળી રહ્યા કારણ કે એક્સપોર્ટરો ખરીદી કરવાથી થોડા દૂર થઇ રહ્યા છે.
બોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત:એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલ
બોટાદ અને કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક અને ઈજાગ્રસ્ત બંને યુવાનો કુંડળી ગામના હોવાની પ્રાથમિક માહિતી . અકસ્માત બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ બંને યુવાનો બોટાદ APMC માં ચણા મૂકીને પોતાના ગામ કુંડળી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરી.
ગીર સોમનાથના જળાશયોમાં જુલાઈ સુધી પૂરતું પાણી:પીવા અને સિંચાઈની ચિંતા ટળી, વરસાદ ખેંચાશે તો કાપ શક્ય
ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહતભરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને ખેતી માટેની સિંચાઈની ચિંતા મોટાભાગે ટળી છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિ મુજબ જુલાઈ મહિના સુધી પાણી પુરવઠો સરળતાથી ચાલુ રાખી શકાય તેમ છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.કે. કારાવદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના પાંચેય જળાશયોની વર્તમાન સ્થિતિ સંતોષકારક છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, જો આગામી જૂન અને જુલાઈ મહિનામાં ચોમાસું મોડું પડે અથવા વરસાદ ઓછો પડે તો પાણી વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવાની જરૂર પડી શકે છે. ગીર જંગલ વિસ્તારમાં આવેલો હિરણ-1 ડેમ, જે કમલેશ્વર ડેમ તરીકે પણ ઓળખાય છે, તે હાલ 97.92 ટકા ભરાયેલો છે. આ ડેમમાં અંદાજે 100 એમસીએફટી પાણીનો જથ્થો ગીરના વન્યજીવો માટે આરક્ષિત રાખવામાં આવે છે. આ ઉપરાંત, તાલાળા અને મેંદરડા તાલુકાના નવ ગામોને સિંચાઈ માટે પણ આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. જિલ્લાનો સૌથી મોટો જળાશય હિરણ-2 ડેમ વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલો છે અને હાલ 77.74 ટકા ભરાયેલો છે. આ ડેમમાંથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા 55 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને સુત્રાપાડા નગરપાલિકાને પણ પીવાનું પાણી અહીંથી આપવામાં આવે છે. હિરણ-2 ડેમમાંથી વેરાવળ અને તાલાળા તાલુકાના 23 ગામોને સિંચાઈ માટે પાણી મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, સુત્રાપાડા અને ઇન્ડિયન રેયોન ઇન્ડસ્ટ્રીઝ, વેરાવળને પણ આ જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. કોડીનાર તાલુકાનો શિંગોડા ડેમ હાલ 78.82 ટકા ભરાયેલો છે, જેમાંથી 12 ગામોને સિંચાઈ માટે અને 23 ગામોને પીવાના પાણીનો પુરવઠો થાય છે. ગીર ગઢડામાં આવેલો મચ્છુન્દ્રી ડેમ 89.32 ટકા ભરાયેલો છે અને તેમાંથી 21 ગામોને સિંચાઈ તથા 32 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ઉના તાલુકાનો રાવલ ડેમ 93.74 ટકા ભરાયેલો છે, જ્યાંથી 16 ગામોને સિંચાઈ અને આશરે 70 ગામોને પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવે છે. આમ, જિલ્લાના પાંચેય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની મોટી સમસ્યા ઊભી થવાની શક્યતા નથી. જોકે, જો ચોમાસું મોડું પડે તો પાણીના સંચાલન માટે કેટલાક નિયંત્રણાત્મક પગલાં લેવા પડી શકે છે.
ચીખલી પોલીસે ₹12.53 લાખનો દારૂ ઝડપ્યો:ચોખાની કુસકી નીચે સંતાડેલો જથ્થો, બોલેરો પિકઅપ સાથે એક ઝડપાયો
નવસારીના ચીખલી પોલીસે મજીગામ નેશનલ હાઈવે પરથી ચોખાની કુસકીના કટ્ટા નીચે સંતાડેલો ₹12.53 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક બોલેરો પિકઅપ સાથે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉનાના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. ચીખલી પોલીસ મથકની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતી એક બોલેરો પિકઅપમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર મજીગામ પાસે ભીખુ ચિકન સેન્ટર સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બોલેરો (GJ-32-T-7165) ને અટકાવી તપાસ કરતા, ડાલામાં ચોખાની કુસકી ભરેલા 15 કટ્ટા નીચેથી વિદેશી દારૂના 94 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે પિકઅપમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી અને ટીન બિયર સહિત કુલ 4,248 નંગ બોટલો (821.04 લિટર) જપ્ત કરી છે. આ દારૂની બજાર કિંમત ₹7,48,080 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, પોલીસે ₹5 લાખની કિંમતની બોલેરો ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ ₹12,53,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી મહેશ જીલીયા ગાવડ (રહે. ઈન્દોર, મૂળ ઝાબુઆ, મધ્યપ્રદેશ) નામના આરોપીની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને પાયલોટિંગ કરનાર મનુભાઈ દીપુભાઈ ગોહિલ (રહે. સીમર, તા. ઉના) અને જથ્થો મંગાવનાર હરેશ દીપુભાઈ ગોહિલ (રહે. સીમર, તા. ઉના) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ બંનેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹7,48,080ની કિંમતનો 4,248 નંગ વિદેશી દારૂ અને બિયર, ₹5,00,000ની મહિન્દ્રા બોલેરો પિકઅપ અને ₹5,000નો એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એસ. કોરાટ, પીએસઆઈ એચ.એચ. ફડદુ અને સર્વેલન્સ ટીમના જવાનો દ્વારા કરવામાં આવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ:ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે શુભારંભ કરાયો
પાટણ શહેરમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ થયો છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો. આ હોસ્ટેલ સદારામ સેવા સમિતિ દ્વારા હાઈવે પર નિર્માણ પામશે. સદારામ સેવા સમિતિ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે તે માટે શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા સક્રિય પ્રયાસો કરી રહી છે. આ પહેલના ભાગરૂપે, પાટણમાં બંસી કાઠિયાવાડી હોટલ અને મેટ્રો સોસાયટી સામે આધુનિક સુવિધાઓ ધરાવતી કન્યા છાત્રાલયનું થોડા સમય અગાઉ ખાતમુહૂર્ત કરાયું હતું. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જેસીબી મશીન પર ફૂલહાર ચડાવી, શ્રીફળ વધેરી અને જેસીબી મશીનમાં બેસીને પાંચ પાવડા મારીને બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ માટેના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સદારામ સેવા સમિતિ દ્વારા ચીફ ઓફિસર હિરલ ઠાકરનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી વિનયસિંહે ચીફ ઓફિસરને સિંહણ અને રાણી લક્ષ્મીબાઈ સમાન ગણાવ્યા હતા. નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજમાં ક્રાંતિ લાવવા માટે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકવો જરૂરી છે, કારણ કે દીકરીઓ ભણશે તો આખો સમાજ તારશે. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજની દીકરી લતાબેન, જેઓ સરકારી અધિકારી બન્યા છે, તેમનું પણ ચીફ ઓફિસરના હસ્તે સન્માન કરાયું હતું. લતાબેને તેમના પ્રથમ બે પગાર સમાજની હોસ્ટેલની દીકરીઓ માટે અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સદારામ સેવા સમિતિના હોદ્દેદારો નવઘણજી ઠાકોર, મંગાજી ઠાકોર, મોઘજીજી ઠાકોર, વિનયસિંહ દરબાર, ડો. મનોજ ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને હોસ્ટેલમાં રહી ભણતી દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં વધતી ગરમી અને હિટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વચ્ચે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની લાડકવાઈ દીકરીને ધોરણ-12 કોમર્સની બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર મૂકીને પરત ફરી રહેલા કઠોર પ્રાથમિક શાળાના શિક્ષક રસ્તામાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. મૃતક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતામળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર અને કામરેજ વિસ્તારમાં આવેલી અંબિકા રેસિડન્સીમાં 50 વર્ષીય ભવાનભાઈ સીથરભાઈ હડિયા પરિવાર સાથે રહેતા હતા. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ભવાનભાઈ કઠોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરી દીપ્તિની હાલ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેથી તે રોજ દીકરીને પરીક્ષા કેન્દ્ર પર મુકવા જતા હતા અને ત્યાંથી પરત લેવા પણ જતા હતા. પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા અને ઢળી પડ્યાગતરોજ બપોરે ભવાનભાઈ પોતાની ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી પુત્રી દિપ્તીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું બોર્ડનું પેપર હોવાથી આબ્રામા પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કૂલમાં બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર મોપેડ પર મૂકવા ગયા હતા. પુત્રીને પરીક્ષા કેન્દ્ર પર મુક્યા બાદ તેઓ મોટા વરાછા ખાતે એ.આર. મોલમાં આવેલી પોતાના પુત્રની ઓફિસ તરફ જવા નીકળ્યા હતા. તેઓ પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યોમોટા વરાછા ખાતે સુદામા ચોક નજીક અતિશય ગરમીના કારણે ભવનભાઈને ડિહાઇડ્રેશન થયું હતું. જેના કારણે તેઓને ચક્કર આવતા તેઓ ચાલુ મોપેડ પરથી બેભાન થઈ રોડ પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ તેમને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પિતાના મોતને પગલે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ અંગે વધુ તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે. પિતાના મોતના સમાચાર વચ્ચે પરીક્ષા આપીઆ ઘટનામાં સૌથી વધુ હૃદયસ્પર્શી બાબત પુત્રી દિપ્તીની હિંમત રહી છે. એક તરફ પિતાના મોતના સમાચાર મળ્યા હતા, તેમ છતાં પિતાનું સપનું પૂરું કરવા દિપ્તીએ ભારે હૈયે ધીરજ રાખીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર પૂર્ણ કર્યું હતું. એટલું જ નહીં, આગામી 17મી માર્ચે આવનારું છેલ્લું પેપર પણ તે આપશે તેવો મક્કમ નિર્ધાર કર્યો છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે માલપરિવહન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હાપા યાર્ડ ખાતે રૂ. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી અને મરામત માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કાર્ય ગતિ શક્તિ યુનિટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે રેલવેની કાર્યક્ષમતાનો પરિચય આપે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરનાં વેપાર ઉદ્યોગને તેનો મોટો લાભ મળશે. અને ઉદ્યોગકારોનાં માલસમાનનું પરિવહન ઝડપી બનવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થશે. રોડ સેફ્ટી (ચર્ચગેટ) ના મુખ્ય વહીવટી અધિકારી અમિત મનુવાલ અને રાજકોટ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા આ નવો વેગન શેડ બનાવાયો છે. જે 172 મીટર લાંબો અને 25 મીટર પહોળો છે, તો તેની ઊંચાઈ 16.5 મીટર રાખવામાં આવી છે. આધુનિક સ્થાપત્ય શૈલી મુજબ તેમાં ટ્રસ વગરની હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શેડની અંદર વેગનની મરામત માટે પણ 3 રેલવેટ્રેક બિછાવવામાં આવ્યા છે. અધિનિક વેગન શેડમાં ભારે મશીનરીના ઉપયોગ સામે ફ્લોરિંગ સુરક્ષિત રહે તે માટે ખાસ હાર્ડોનાઈટ ફ્લોરિંગ તૈયાર કરાયું છે. કર્મચારીઓની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાને કારણે કર્મચારીઓ હવે અત્યંત સુરક્ષિત રીતે વેગનની તપાસ કરી શકશે. તેમજ વેગન શેડની સાથે સાથે અહીં કર્મચારીઓની સુવિધા માટે એક આધુનિક વહીવટી ભવન પણ નિર્મિત કરવામાં આવ્યું છે. અન્ય સુવિધાઓની વાત કરીએ તો 78 મીટર લાંબા આ ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં રેલવેમાં કાર્યરત મહિલા કર્મચારીઓની સુવિધા માટે અલગ મહિલા વિશ્રામ ખંડની વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આખા પરિસરમાં સીસી રોડ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વિશાળ પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેથી કામકાજ દરમિયાન શિસ્ત અને સુવિધા જળવાઈ રહે. આ નવા શેડના નિર્માણથી રાજકોટ ડિવિઝનની માલવાહક ક્ષમતામાં અનેકગણો વધારો થશે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સુવિધા શરૂ થવાથી હાપા યાર્ડમાં ભીડ ઘટશે અને વેપારીઓ તેમજ ઉદ્યોગોને માલ લોડિંગ માટે વેગન વધુ ઝડપથી મળી રહેશે. આધુનિક ટેકનિકલ પરીક્ષણો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનતા સમય અને નાણાંની પણ મોટી બચત થશે. આમ, આ નવો વેગન શેડ રેલવેની આવકમાં વધારો કરવાની સાથે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ અહીં રોજ માત્ર 12 વેગનની મરામત થતી હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન સુધી પહોંચશે. આ ઉપરાંત, દર મહિને થતું રૂટિન ઓવરહોલિંગ (ROH) આઉટટર્ન પણ 70 વેગનથી વધીને 125 થી વધુ થવાની અપેક્ષા છે. સૌથી મોટો ફાયદો એ થશે કે 'સીક' એટલે કે ખરાબ થયેલા વેગન જે પહેલા સરેરાશ 10 દિવસે રિપેર થતા હતા, તે હવે માત્ર 3 દિવસમાં તૈયાર થઈ જશે. જેને લઈને માલપરિવાહન ઝડપી બનવાની સાથે રેલવે તંત્રની આવકમાં વધારો થશે.
જામનગરમાં વહેલી સવારે ઝાકળ છવાઈ, વિઝિબિલિટી ઘટી:ઉનાળા વચ્ચે શિયાળા જેવો અનુભવ, મિશ્ર ઋતુનો અહેસાસ
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ગાઢ ઝાકળ છવાઈ હતી. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને શિયાળા જેવો અનુભવ થયો હતો. ઝાકળ એટલી ઘટ્ટ હતી કે જામનગર શહેરને જોડતા હાઈવે અને ગ્રામ્ય પંથકોમાં વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. વાહનચાલકોને વહેલી સવારે વાહનોની લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ખેતરોમાં ઝાકળના બિંદુઓ જામતા સુંદર દૃશ્યો સર્જાયા હતા. હવામાન નિષ્ણાતોના મતે, સમુદ્ર કિનારાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધવા અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઉનાળાની શરૂઆતમાં પણ ઝાકળ જોવા મળે છે. આ એક મિશ્ર ઋતુ જેવી સ્થિતિ છે, જેમાં વહેલી સવારે ઠંડક અને ઝાકળનો અનુભવ થાય છે, જ્યારે બપોરે આકરો તડકો અને ગરમી વર્તાય છે. આ પ્રકારના મિશ્ર વાતાવરણની લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ વધવાની શક્યતા છે. આ ઉપરાંત, ખેતીમાં તૈયાર પાક પર ઝાકળની સંભવિત અસર અંગે ખેડૂતોમાં ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સિંહો અને અન્ય વન્યપ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી 8 રેન્જમાં 250 જેટલા પીવાના પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. 8 રેન્જમાં પાણીના સ્ત્રોત કાર્યરત આ વ્યવસ્થા ધારી ગીર પૂર્વ ડિવિઝનની ખાંભા તુલસીશ્યામ, દલખાણીયા, હડાળા, પાણીયા પોઈન્ટ, સરસિયા, સાવરકુંડલા, જસધાર અને આંબરડી પ્રવાસન રેન્જ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી છે. કેટલાક પોઈન્ટ પર પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે, જ્યારે મોટાભાગના પોઈન્ટ પર ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પોઈન્ટ્સ ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર બંનેમાં કાર્યરત છે. બીટગાર્ડને સોંપાઈ વિશેષ જવાબદારી જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલાના માર્ગદર્શન હેઠળ, ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) વિકાસ યાદવે દરેક રેન્જમાં પાણીના પોઈન્ટ નિયમિત ભરવા માટે સૂચનાઓ આપી છે. આ કામગીરી માટે દરેક રેન્જમાં બીટ ગાર્ડ કક્ષાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વન્યજીવોનું સ્થળાંતર રોકવા પ્રયાસ વન વિભાગ દ્વારા ઉભી કરાયેલી આ વિશેષ પાણી વ્યવસ્થા સિંહો ઉપરાંત હરણ, નીલગાય અને પક્ષીઓ સહિતના વન્યપ્રાણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ કાળઝાળ ગરમીમાં પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ગીર પૂર્વમાં 40 ડિગ્રી તાપમાન, સિંહો માટે 250 પાણીના પોઈન્ટ ગીર પૂર્વ ડિવિજનના DCF વિકાસ યાદવએ જણાવ્યું હતું કે, આપ બધાને ખબર છે કે હવે ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઇ છે. તાપમાન વધી રહ્યું છે. આપણી સૌરાષ્ટ્રની તપોભૂમિમાં સાવજ રહે છે અને એની સાથે સાથે ઘણા બધા વન્ય પ્રાણી પણ અહીંયા નિવાસ કરે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટેકનોલોજી અને કુદરતી સ્ત્રોતનો સમન્વય આમાં સૌર ઉર્જા દ્વારા સંચાલિત ઘણા બધા પાણીના પોઇન્ટો છે, અમુક પોઇન્ટો પવનચક્કી દ્વારા ચાલે છે. અમુક એવા વિસ્તારો પણ છે જ્યાં થોડીક દુર્ગમતા હોય. ત્યાં પાણીના ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. ગીરમાંથી ઘણી બધી નદીઓ પસાર થાય છે. જેમાં સાત મોટી નદીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગીર પૂર્વ વન વિભાગમાં શેત્રુંજી અને મચ્છુન્દ્રી મોટી નદીઓ છે. ગીરના 'સાવજ' માટે વન વિભાગ સજ્જ આ સિવાય પ્રાકૃતિક પાણીના સ્ત્રોતની વાત કરીએ તો કુટિયા અને કોતર પણ અહીંયા છે. પણ, છતાં જ્યારે જ્યારે ટેમ્પરેચર વધે છે તો પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે. જેથી પાણીની અછતને ધ્યાનમાં રાખીને 250 જેટલા પાણીના પોઇન્ટ્સ ગીર પૂર્વ વન વિભાગમાં મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. ધારી ગીર પૂર્વ ડિવિજન ડીસીએફ વિકાસ યાદવએ કહ્યું કે, પાણીના પોઇન્ટ ઉપર જે બીટગાર્ડ છે એમની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે, એમને દરેક દિવસે પાણીના પોઇન્ટ જોવાનું રહેશે. જેમાં કેવી રીતે એનું મેન્ટેનન્સ થાય છે, એની સાફસફાઈ થાય છે, ભેજ મેન્ટેન અને મોઈશ્ચર મેન્ટેન થાય છે કે કેમ એ જોવાનું રહેશે. જંગલમાં એના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જેલમાં કાચા કામના કેદીનું મોત:હૃદયરોગના હુમલાથી 70 વર્ષીય વૃદ્ધનું મોત
સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના 70 વર્ષીય કેદી ખીમા સોમાભાઈ સાબંડનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં રાત્રે 11:03 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. ખીમા સોમાભાઈ સાબંડ ખાખરાથળના પશુપાલક હતા અને 15 સપ્ટેમ્બર, 2020ના રોજ ઉકાભાઈ પર જીવલેણ હુમલો કરી તેમનું મોત નીપજાવવાના કેસમાં આરોપી હતા. બે મહિના પહેલા પણ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારે તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગત રાત્રે 10:30 કલાકે તેમને ફરીથી હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેલ સત્તાવાળાઓએ તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. આ ઘટના અંગે જેલ સત્તાવાળાઓએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી, જ્યાં અકસ્માતે મોતની નોંધ કરી પીઆઈ આર. એમ. સંગાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
વેરાવળ ડિવિઝન હેઠળ પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વીજ બિલની બાકી રકમ વસુલવા માટે આગામી 17 માર્ચના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી રહી છે, જેમાં એકસાથે 82 ટીમો મેદાનમાં ઉતરી બાકીદારો સામે કાર્યવાહી કરશે. સમયસર બિલ નહીં ભરનારાઓ માટે આ ડ્રાઇવ ચેતવણીરૂપ બની છે. પીજીવીસીએલ વેરાવળના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અત્યંત સફળ રહી હતી. આ અભિયાન દરમિયાન માત્ર એક જ દિવસમાં બાકીદારો પાસેથી આશરે ₹2.23 કરોડ જેટલી રકમ પીજીવીસીએલમાં જમા થઈ હતી. આ સફળતા બાદ હવે ફરી એક વખત વધુ કડક અને વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 17 માર્ચે યોજાનારી આ ડ્રાઇવમાં વેરાવળ ડિવિઝનની કુલ સાત સબ ડિવિઝનોમાં 82 જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે. જેમાં આમ કુલ મળી 82 ટીમો એકસાથે મેદાનમાં ઉતરી બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરશે. કાર્યપાલક ઇજનેર વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે બાકીદારોને બિલ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રજાના દિવસોમાં પણ કલેક્શન સેન્ટરો ચાલુ રાખવામાં આવશે અને કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ડિવિઝનની તમામ સબ ડિવિઝનમાં કેશ કલેક્શન સેન્ટર કાર્યરત રહેશે, જેથી ગ્રાહકો પોતાની બાકી રકમ સરળતાથી જમા કરી શકે. આ ઉપરાંત ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી કોઈપણ ગ્રાહક ઘરે બેઠા પોતાની બાકી રકમ ચૂકવી શકે. પરંતુ પીજીવીસીએલ તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે બાકીદાર ગ્રાહકો હજુ પણ બિલ ભરવામાં ઉદાસીનતા દાખવશે તેમના વીજ જોડાણો 17 માર્ચે યોજાનારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ દરમિયાન નિઃસંકોચ કાપી નાખવામાં આવશે. કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ તમામ બાકીદાર વીજ ગ્રાહકોને અપીલ કરી છે કે ડિસ્કનેક્શન જેવી સ્થિતિથી બચવા માટે સમયસર બિલની ચુકવણી કરી દેવી.
રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો:શાપર-વેરાવળમાંથી 2 કિલોથી વધુ ગાંજા સાથે એક ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય SOGએ શાપર-વેરાવળ વિસ્તારમાંથી 2 કિલો 435 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂ. 24,350/- છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શાપરના શાંતિધામ મેઈન રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રાજ મઘેશભાઈ ચૌહાણ (ઉંમર 20, રહે. શાંતિધામ, ગણેશનગર) નામના યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ 2 કિલો 435 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજાની કિંમત રૂ. 24,350/- અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1,21,750/- નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તપાસમાં અન્ય એક આરોપી સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયાનું નામ પણ ખુલ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસ રેકોર્ડ મુજબ, ફરાર આરોપી સોહિલ અગાઉ પણ દારૂબંધી, મારામારી અને NDPSના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ અવન્યુમાં ગત મોડી રાત્રે કૌટુંબિક કલેશમાં પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિ બંટીએ પત્ની પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડઅપ કરી લીધો છે, જ્યારે FSLની મદદથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારીવડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ અવન્યુમાં ગત મોડી રાત્રે એક હૃદયને હચમચાવતી હત્યાની ઘટના સામે આવી છે. પતિએ પોતાની જ પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. મૃતક મહિલા લોહીથી લથપથ થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત DCP ઝોન-4 એન્ડ્ર્યુ મેકવાને પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેઓએ કહ્યું કે, અહીંયા મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી હતી. જેને લઈ પોલીસની ટીમો અહીંયા પહોંચી છે અને તપાસ ચાલુ છે. FSL ટીમને પણ અહીંયા બોલાવવામાં આવી છે. જેથી ઘટનાસ્થળ પરથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને રાઉન્ડઅપ કરી લીધોઆ મામલે નવાપુરા પોલીસ માથકના PI બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનામાં પતિ બંટી એ જ પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી હોવાનું હાલ સુધીમાં સામે આવ્યું છે. આરોપીને અમે રાઉન્ડઅપ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
હજુ તો ઉનાળાની પ્રોપર શરૂઆત પણ નથી થઈ ત્યાં ગરમીએ એનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અંગ દઝાડતી ગરમીથી અમદાવાદીઓ બરાબરના અકળાયા છે. લોકો ઘરની બહાર પ્રોટેક્શન સાથે જ નીકળી રહ્યા છે. તો કોઈ છાશ ને લીંબુ પાણીથી ચલાવી રહ્યા છે. તો આવો જાણીએ ધગધગતા તાપથી બચવા અમદાવાદીઓ કેવા-કેવા જુગાડ કરી રહ્યા છે…
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા શરૂ કર્યાઅમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ દૂર-દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે સસ્તુ અને સારું જમવાની વ્યવસ્થા તેમની મેસમાં જ કરવામાં આવે છે. આ મેસમાં 500થી 700 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોવાથી બે જેટલા ગેસના સિલિન્ડરની જરૂર પડતી હોય છે. જો કે, તેની સામે હવે બે કે ત્રણ દિવસમાં માત્ર એક જ ગેસ સિલિન્ડરની બોટલ મળી રહી છે. તેમાં પણ 3000થી 4000 રૂપિયા મેસના સંચાલકોને આપવા પડી રહ્યા છે, જેથી મેસના સંચાલકોએ તેનો ઉપાય સીધો કાઢ્યો છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. હવે રસોઈ બનાવવા બે કલાક વહેલું ઉઠવું પડે છેઃ નરેશ જોશીઆ મામલે મેસના સંચાલક નરેશ જોશીએ જણાવ્યું હતું કે, અમારે દરરોજ બે ગેસ સિલિન્ડરની જરૂર પડતી હોય છે, પરંતુ અત્યારે યુદ્ધની સ્થિતિને કારણે તે મળતા નથી, જેથી અમે ઓપ્શન ગોત્યો છે કે ચૂલા પર રસોઈ બનાવીશું. પહેલા 7 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરતા હતા, તેના બદલે હવે સવારે 5 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થીઓને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. ‘જો આવી જ સ્થિતિ રહેશે તો મેસ બંધ કરવી પડશે’વધુમાં નરેશ જોશીએ જણાવ્યું હતું કે, દરરોજ 300થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા સવાર અને સાંજે જમવા માટે આવે છે. અત્યાર સુધી તેમણે જમવાની કોઈ તકલીફ પડે તેવું નથી થવા દીધું, પરંતુ જો આવી જ સ્થિતિ રહેશે તો તકલીફ થઈ શકે છે. બહાર જમવાનો ખર્ચ વધશે અને અભ્યાસ પર પણ અસર થશેઃ વત્સલવધુમાં વિદ્યાર્થી વત્સલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. આ કોલેજમાં 6 હોસ્ટેલમાં બ્લોક છે, હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી મોટાભાગના લોકો મેસમાં જ જમવા માટે આવે છે. હોસ્ટેલમાં રહીને મેસમાં જમીએ તો નક્કી હોય છે કે આટલા દિવસના પૈસા આટલા હોય છે, પરંતુ બહાર જઈએ તો પૈસા વધી જાય અને ઘરેથી પૈસા પણ વધારે મંગાવવા પડે, જેથી બીજી તકલીફ પણ ઉભી થઈ જાય છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
પોલીસે કરી લાલ આંખ:માંડવીના કુખ્યાત બુટલેગર પર પાસાનું શસ્ત્ર ઉગામાયું
પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરી અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લાંબા સમયથી દારૂના વેપલામાં સક્રિય અને અનેક પોલીસ મથકોના ચોપડે ચડી ચૂકેલા મૂળ માંડવી તાલુકાના કોટાયા અને હાલે માંડવીના ધવલનગર - 2 વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ઇસમ હરી હરજી ગઢવી વિરૂદ્ધ એલસીબીએ પાસા હેઠળ અટકાયતી પગલાં ભરી જેલ હવાલે કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલની દેખરેખ હેઠળ હરી ગઢવી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા આરોપીને અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરાયો હતો. પકડાયેલ આરોપી હરી ગઢવીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની વિરૂદ્ધ મુંદરા, નખત્રાણા, કોઠારા, ગઢશીશા, માંડવી, માનકુવા અને ભુજ શહેર એ-ડિવિઝન સહિતના વિવિધ પોલીસ મથકોમાં વર્ષ 2014 થી લઈને 2025 સુધીમાં 16 ગુના નોંધાયેલા છે.સતત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા ઇસમને સમાજ માટે જોખમી ગણીને પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
40 લાખની જમીન ખુલ્લી કરાઈ:મોટી ખોંભડીની 6 એકર ગૌચર જમીનમાં થયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં નખત્રાણા તાલુકાના મોટી ખોભડી ગામની 6 એકર ગૌચર જમીન પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ 40 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ સાથે નખત્રાણા પોલીસ મથકના સ્ટાફ દ્વારા મોટી ખોભડી ગામના હરીલાલ ધનજીભાઈ ધોળુ દ્વારા કરેલા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે પોલીસની ટીમે સ્થળ પર હાજર રહી ગામની સીમમાં આવેલ સર્વે નંબર 261 પૈકી 62 વાળી 6 એકર જમીન પર થયેલા વાવેતર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો.ઉભા પાકને ખેડી રૂપિયા 40 લાખની કિંમતની જમીન ગામના પશુધન માટે ખુલ્લી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણ પર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને વગદાર લોકો કેવી કેવી તરકીબો અજમાવે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અંજારમાંથી સામે આવ્યો છે. બિન-ખેડૂત હોવા છતાં, કાયદાની આંખમાં ધૂળ નાખીને કરોડો રૂપિયાની ખેતીની જમીન ખરીદનારા બે શખ્સો સામે અંજાર મામલતદાર કોર્ટે લાલ આંખ કરી છે. જાગૃત નાગરિકની અરજી બાદ તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેના પરિણામે તંત્રએ રૂ. 10.56 કરોડનો દંડ ફટકારીને જમીન ‘શ્રી સરકાર’ (સરકાર હસ્તક) કરવાનો આકરો હુકમ કર્યો છે. અશોક મયારામ ઠક્કર અને પંકજ મયારામ ઠક્કર (રહે. ગાંધીધામ) દ્વારા અંજાર સીમના સર્વે નંબર-984 પૈકી 218/પૈકી 1 ની 3.03.52 આરે ખેતીની જમીન ખરીદવામાં આવી હતી. કાયદા મુજબ ખેતીની જમીન માત્ર ખેડૂત જ ખરીદી શકે. આ નિયમમાંથી છટકવા માટે આ બંને ભાઈઓએ પોતે ભચાઉના કરમરીયા ગામના ખાતેદાર હોવાના આધાર રજૂ કર્યા હતા. પરંતુ, અરજદાર જીલુભાઈ રામભાઈ સોઢીયાની રજૂઆત બાદ જ્યારે મહેસૂલ વિભાગે મૂળ સુધી તપાસ કરી ત્યારે મોટું ભોપાળું છતું થયું. તપાસમાં ખૂલ્યું કે, આ ભાઈઓના પિતા મયારામ ઠક્કરને ડીસા તાલુકાના લટીયા ગામે ખેતીની જમીન કોઈની પાસેથી ‘વિલ’ દ્વારા મળી હતી. રેવન્યુ કાયદાની સ્પષ્ટ જોગવાઈ છે કે, માત્ર વસિયતનામાથી મળેલી જમીનથી કોઈ વ્યક્તિ કાયદેસરનો ‘ખેડૂત ખાતેદાર’ બની શકે નહીં, કારણ કે તે જમીન વડીલોપાર્જિત ગણાય નહીં. આમ, પાયામાંથી જ ખેડૂત ન હોવા છતાં, ખોટી રીતે ખેડૂત તરીકેના હકો ઊભા કરી, સક્ષમ અધિકારીઓને ગેરમાર્ગે દોરીને આ જમીનનો સોદો કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગેરરીતિ અને રેવન્યુ રેકર્ડ સાથે થયેલા ચેડાં સાબિત થતાં, અંજારના મામલતદાર બી. વી. ચાવડાએ ગણોતધરાની કલમ અને મુંબઈ ગણોત વહીવટ કાયદાનો કડક અમલ કર્યો છે. વિવાદિત જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમત (રૂ. 580 પ્રતિ ચો.મી.) મુજબ જમીનનું મૂલ્ય રૂ. 3,52,08,320/- આંકવામાં આવ્યું છે. કાયદાના ભંગ બદલ આ કિંમતના ત્રણ ગણા એટલે કે કુલ રૂ. 10,56,24,960નો જંગી દંડ બંને ભાઈઓને ફટકારવામાં આવ્યો છે. અંજાર સીમની આ કરોડોની જમીન પરથી અશોક ઠક્કર અને પંકજ ઠક્કરનો કબજો તાત્કાલિક અસરથી દૂર કરી, જમીનને બોજા રહિત ‘શ્રી સરકાર’ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ જાણ કરાઇમામલતદારે કચ્છના અન્ય તાલુકાઓમાં પણ પત્ર લખીને આ શખ્સો દ્વારા ખરીદાયેલી અન્ય ખેતીની જમીનોની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
પોતાના મનપસંદ વ્યક્તિને જીવન સાથી પસંદ કરવાની પુખ્તવયની વ્યક્તિને સ્વતંત્રતા છે, તેમ છતાં અનેક સ્થળોએ પરિવારની મરજી વિરુદ્ધ જીવનસાથી પસંદ કરવાના કિસ્સાઓમાં ઓનર કિલિંગના બનાવો બનતા હોય છે. તેવો જ એક બનાવ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં સામે આવ્યો છે. જેમાં નાના અંગીયા અને ખાંભલા ગામના યુવક-યુવતી ભાગી ગયા બાદ યુવતીના પિતાએ ફોસલાવી બન્નેને પરત બોલાવ્યા હતા. જે બાદ યુવતીના પિતાએ પોતાના ભાણેજ સાથે મળી બન્નેની ગળુ દબાવી હત્યા નીપજાવી હતી અને સીમમાં આવેલા કુવામાં મૃતદેહો નાખી દીધા હતા. આ મામલે નખત્રાણા પોલીસ મથકે યુવક અને યુવતીની ગુમનોંધ લખાયા બાદ પોલીસે યુવતિના પિતાની ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ડબલ મર્ડરની ઘટના પરથી પરદો ઉચકાતા શુક્રવારે 39 દિવસ બાદ બન્નેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જે મામલે આરોપી પિતા અને તેના ભાણેજને રાઉન્ડઅપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામની 19 વર્ષીય યુવતી નાથીબેન ઉર્ફે સોનુ વંકા રબારી અને નાના અંગીયા ગામના 21 વર્ષીય નવીન જીવાભાઈ રબારીની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બન્ને યુવક-યુવતી વચ્ચે પ્રેમસબંધ હોતા ગત 3 ફ્રેબ્રુઆરીના તેઓ ભાગી ગયા હતા. રાત્રે આઠ વાગ્યા સુધી દીકરી ઘરે ન આવતા યુવતીના પિતાએ તેની તપાસ કરી હતી ત્યારે યુવક અને યુવતી કોટડા(જ)થી મળી આવ્યા હતા. જે બાદ યુવતીના આરોપી પિતા વંકા પના રબારી અને તેના ભાણેજ પબા ગાભા રબારીએ બન્નેને ફોસલાવી પરત બોલાવ્યા હતા અને ખાંભલા-કોટડા ગામની વચ્ચે રોડ નજીક બન્નેનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. જે બાદ વારાફરતી બન્નેના મૃતદેહને બાઈક પર ઉઠાવી સીમ વિસ્તારમાં આવેલા 100 ફૂટ ઊંડા કુવામાં નાખી દઈ પુરાવાનું નાશ કર્યો હતો. પોલીસે ગુમનોંધને આધારે આ મામલે તપાસ હાથ ધરી બન્નેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. એ દરમિયાન યુવતીના પિતા પર પોલીસને શંકા ગઈ હતી અને ઉલટ તપાસ કરતા ડબલ મર્ડરની ઘટના પરથી પડદો ઉચકાયો હતો. જે બાદ નખત્રાણાના ઇન્ચાર્જ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ, નખત્રાણા એસડીએમની હાજરીમાં પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમે શુક્રવારે ખાંભલા ગામની સીમમાં આવેલ કુવામાં શોધખોળ હાથ ધરતા હત્યાના 39 દિવસ બાદ મૃતક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. જેને કુવામાંથી બહાર કાઢી પોલીસે સ્થળ પર પંચનામું કરી બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કરી લઇ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાના મૃતક યુવાનના ભાઇનું ગત તા. 28-10-2025 માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ટૂંકા ગાળામાં બે પુત્રો ગુમાવતા પિતા પર આભ ફાટ્યું છે. ભાસ્કર ઈનસાઈડ: લાશને કુવા-બોરવેલમાં નાખવાની 3 માસમાં ચોથી ઘટના કચ્છમાં છેલ્લા થોડાક સમયથી હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં આરોપી દ્વારા હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કુવા કે બોરવેલમાં નાખી દેવાતો હોય છે. અગાઉ 9-12ના નખત્રાણાના મૃરૂમાં પરિણીતા સાથે આડા સબંધને કારણે 20 વર્ષીય યુવકનું ધારિયાથી માથું અને પગ કાપી બોરવેલમાં નાખી દેવાયા હતા. જે બાદ 14-12ના નાના વરનોરામાં પતિના અન્ય યુવતી સાથે આડા સબંધ હોવાથી પત્નીનું ગળુ કાપી મૃતદેહને કુવામાં નાખી દીધો હતો. જ્યારે ગત 21 ફ્રેબ્રુઆરીના અંજાર તાલુકાના ચંદીયામાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી દીધા બાદ લાશને 55 ફૂટ ઊંડા કુવામાં નાખી દેવામાં આવી હતી. તેવામાં હવે નખત્રાણાના ખાંભલામાં વધુ એક ઘટના બની છે. પોલીસને ગુમરાહ કરવા ગુમનોંધ લખાવી5 ફ્રેબ્રુઆરીના યુવકના પરિવારજનોએ નખત્રાણા પોલીસ મથકે ગુમનોધ લખાવી હતી. જે બાદ યુવતીના પિતાએ પણ પોતે સમગ્ર ઘટનાથી અજાણ બની 7 ફ્રેબ્રુઆરીના પોતાની દીકરી ગુમ થઇ ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોતાની દીકરી અને તેના પ્રેમી યુવકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસને શંકા ન જાય તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું પરંતુ અંતે મામલો સામે આવ્યો અને ચકચારી ઘટનાનો પોલીસે પર્દાફાસ કરી દીધો છે.
રાંધણ ગેસની કટોકટી વેળાએ સાયબર ઠગો સક્રીય:ઝડપી LPG ડિલિવરીના નામે ઓનલાઈન ઠગાઈનો નવો કીમિયો
કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુકિંગ છતાં ડિલિવરીમાં થતો વિલંબ સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યો છે. શુક્રવારના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર કચ્છમાં કુલ 28,820 ગ્રાહકોએ ગેસ રિફિલ માટે બુકિંગ કરાવ્યું હતું. તેની સામે સરકારી ત્રણ મુખ્ય ગેસ કંપનીઓ પાસે માત્ર 9,435 બોટલનો જથ્થો જ હાજર હતો. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ 9,370 બોટલ રસ્તામાં છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કરાવ્યાના ચાર-ચાર દિવસ વીતી જવા છતાં ગેસના બોટલ મળતા નથી. ગેસની અછતને છુપાવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોને એક બોટલ લીધાના 25 દિવસ બાદ જ બીજું બુકિંગ કરાવવા દેવામાં આવશે. જો આમાં 4-5 દિવસનો ડિલિવરી સમય ઉમેરવામાં આવે, તો એક સામાન્ય પરિવારને હવે માંડ મહિનામાં એક બોટલ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસની અછતને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે જથ્થા પર કાપ મૂકી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં સરકારે પહેલાથી જ કાપ મૂક્યો છે, જેના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રસોડાઓ પર સંકટના વાદળો છવાયા છે. જો યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો લોકોએ ફરીથી ગેસના બોટલના બદલે ચૂલા કે ઇન્ડકશન સગડી પર રસોઈ બનાવવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. આ ફ્રોડથી કેવી રીતે બચવું?સિલિન્ડર બુકિંગ માટે ગેસ કંપનીઓની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો. અજાણી લિંક પર ક્લિક ન કરો, અજાણી વેબસાઇટ પર પેમેન્ટ ન કરવું. LPG બુકિંગ માટે UPI પિન, OTP અને બેંક ડીટેલ શેર ન કરવી. જો છેતરપિંડીનો ભોગ બનો તો હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો. વહેલી ફરિયાદ કરવાથી, છેતરપિંડીની રકમ ઝડપથી વસૂલ કરી શકાય છે.
બાર કાઉન્સિલની ચૂંટણી:બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છના 102 મત રદ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે રાજ્યભરમાં થયેલા મતદાન બાદ હવે મતપેટીઓ ખોલી માન્ય-અમાન્ય મતો અલગ પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. કચ્છ જિલ્લાના વિવિધ અદાલત કેન્દ્રોમાં થયેલા મતદાન બાદ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં પરિણામને લઈને ઉત્સુકતા વધી છે. કચ્છ જિલ્લામાં કુલ 9 કેન્દ્રો પર 2637 મતદારો નોંધવામાં આવ્યા હતા. જેમના 1920 મતદાન કર્યું હતું. તેમાંથી 1818 મત માન્ય, 102 મત અમાન્ય જાહેર થયા હતા. નોંધાયેલા મતદારોની સામે 72.81 ટકા મતદાન થયું છે. તેમજ થયેલા મતદાન સામે માન્યમત 94.68 ટકા અને 5.31 ટકા અમાન્ય મત નોંધાયા હતા. આ આંકડાઓ મુજબ કચ્છમા નોંધપાત્ર મતદાન થયું છે. ભુજમાં 625 માન્ય અને 28 અમાન્ય મત, ગાંધીધામમાં 393 માન્ય અને 37 અમાન્ય મત, ભચાઉમાં 114 માન્ય અને 4 અમાન્ય, માંડવીમાં 165 માન્ય અને 7 અમાન્ય મત, મુન્દ્રા 124 અને 8 અમાન્ય, અંજાર 227 માન્ય અને 17 અમાન્ય તેમજ રાપરમાં 65 માન્ય અને 1 અમાન્ય મત નોંધાયા હતા. જ્યારે નખત્રાણા અને અબડાસા કેન્દ્રોમાં અનુક્રમે 54 અને 41 માન્ય મત નોંધાયા હતા અને અહીં એક પણ મત રદ કરવામાં આવ્યો નહોતો. કચ્છમાંથી પુનિત એચ. દૂધરેચીયા અને મગન આર. ગઢવીએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. મતદાનના સમયે કચ્છના મુખ્ય ઓથોરાઈઝ્ડ પોલિંગ ઓફિસર તરીકે જિતેન્દ્રભાઈ મૂલચંદ ઝવેરીલ, સહાયક તરીકે મલ્હાર ડી. બુચ, હર્ષદ જે. જરાદી, હિતેશભાઈ વેગડ અને અલ્પેશ સલાટની હાજરીમાં કોર્ટ પરિસરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. કુલ 15 હજારથી વધુ મતનું વર્ગીકરણ પૂર્ણ થયું હતું. 1 થી 99 ઉમેદવારોને મળેલા મતની જાહેરાત એક સાથે કરવામાં આવશે. રાજ્યના 150 કેન્દ્રોમાં ભુજ 881 મતદાન સાથે 8મા ક્રમેરાજ્યભરના કુલ 150 મતદાન કેન્દ્રોમાંથી ભુજ કેન્દ્ર મતદાનના આંકડાઓ મુજબ 881 મતદાન સાથે 8માં ક્રમે છે. ભુજ કેન્દ્રમાં કુલ 881 નોંધાયેલા મતદારો સામે 653 મતદાન નોંધાયું હતું. જ્યારે કચ્છ જિલ્લામાં ભુજ બાદ ગાંધીધામ બીજા ક્રમે રહ્યું છે, જ્યાં 615 નોંધાયેલા મતદારો સામે 430 મતદાન થયું હતું.
PGVCL એક્શન મોડમાં:વીજચેકિંગમાં 2264 વીજ જોડાણોની તપાસ,1.26 કરોડનો દંડ કરાયો
પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી અને ગેરરીતિઓ રોકવા માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તા. 9 થી 12 માર્ચ દરમિયાન ભુજ વર્તુળ કચેરી હેઠળ વિવિધ પેટા વિભાગોમાં આ અભિયાન યોજાયું હતું. આ ઝુંબેશ દરમિયાન ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, નખત્રાણા, ખાવડા, ભુજોડી, મુન્દ્રા-ગુંદાલા, માંડવી શહેર તથા માંડવી ગ્રામ્ય વિસ્તારોમાં 31 જેટલી વીજચેકિંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમોએ ઘરેલુ, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી સહિત કુલ 2264 વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 195 વીજ જોડાણોમાં ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં મીટર સાથે ચેડાં કરવું, બિનઅધિકૃત રીતે વીજ ઉપયોગ કરવો જેવી બાબતો નોંધાઈ હતી. આ ગેરરીતિઓ બદલ સંબંધિત ગ્રાહકોને કુલ અંદાજે 126.2 લાખ રૂપિયાનાં દંડાત્મક બિલ ફટકારવામાં આવ્યા હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે. બીજી તરફ માર્ચ માસ અંત તરફ હોવાથી બાકીદાર ગ્રાહકો પાસેથી વીજ બિલની વસુલાત વધારવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી છે. જેમાં લાંબા સમયથી બાકી બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ ભરવા PGVCLની કચેરીઓ રજાઓમાં પણ ખુલ્લી રહેશેપશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ ડિવિઝન દ્વારા વીજ ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફાઈનાન્સીયલ વર્ષ 2025-2026 ના અંતિમ મહિના માર્ચ-2026 માં બાકી વીજ બિલોની વસૂલાત ઝડપી બનાવવા માટે વિભાગીય કચેરીઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. જેમાં ભુજ સીટી-1 અને ભુજ સીટી-2, ભુજ રૂરલ, માધાપર, દેશલપર, કુકમા, ભુજોડી અને ખાવડા પેટા વિભાગીય કચેરી રજાના દિવસોમાં પણ બિલ ભરી શકાશે માર્ચ-2026 ના મહિના દરમિયાન આવતા દરેક રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં પણ આ તમામ કચેરીઓ વીજ બિલ સ્વીકારવા માટે ખુલ્લી રહેશે. ગ્રાહકો પોતાના બાકી બિલો સમયસર ભરી શકે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતા સન્માન:ભુજની યુવતીને ભારતના ચીફ જસ્ટિસના હસ્તે ગોલ્ડ મેડલ
ગાંધીનગર ખાતે સ્થિત દેશની એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો. અહીંથી ક્લિનિકલ સાયકોલોજી સાથે એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કરનારી ભુજની યુવતી યજુષી જયદીપ પટેલે સમગ્ર યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યજુષીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ પદવીદાન સમારંભમાં તેની ડિગ્રી સાથે દેશના સી.જે.આઈ. સૂર્યકાન્તના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. આ પહેલા યજુષીએ ગાંધીનગર ખાતે સંસ્થા પી.ડી.પી.ઈ.યુ.માંથી બી.એ. ઓનર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમાં પણ તેમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે. સ્નાતક તથા અનુસ્તાક બંને અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી, ભારતના ચીફ જસ્ટિસના હસ્તે સન્માન મેળવનાર યજુષીએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. ભુજના લોકો આજે પણ સેવાભાવી તબીબ તરીકે યાદ કરે છે, તેવા સ્વ. ડો. વી. એચ. પટેલની યજુષી પૌત્રી છે તથા વર્ષા અને જયદીપ પટેલની પુત્રી છે.
પશ્ચિમી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાઈ છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પુરવઠા શાખાએ સંયુક્ત કાર્યવાહી કરી કુકમા ગામમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાનો સંગ્રહ અને વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ અને પુરવઠા વિભાગની આ રેડમાં કુલ 174 ગેસની બોટલો મળી કુલ રૂ. 1,59,800/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુકમા ગામના સીકે કોમ્પ્લેક્ષમાં આવેલ ‘બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની દુકાન નં. 07 માં હિરેન અવીનાશભાઇ ટાંક દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલા રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. હાસમી અને LCBની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડતા ગોડાઉનમાંથી 5 કિલો ક્ષમતાના ગેસ ભરેલા 112 બોટલ, 05 કિલો ક્ષમતાના 62 ખાલી બોટલ સહીત કુલ 1,59,800ની કિંમતના 174 નંગ બોટલ કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે માધાપરના રહેવાસી હિરેન અવીનાશભાઇ ટાંકની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર એક્ટ-2000, ગેસ સીલીન્ડર રુલ્સ-2016 અને આવશ્યક ચીજવસ્તુ ધારા-1955 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ શખ્સ ભુજની વિવિધ ગેસ એજન્સીઓ પાસેથી ગેર કાયદેસર રીતે બોટલ ખરીદીને પોતાનો નફો રાખી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
ભાસ્કર ફોલોઅપ:કચ્છમાં બુકિંગ સામે માત્ર 32.74 ટકા ગેસના બોટલ
કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુકિંગ છતાં ડિલિવરીમાં થતો વિલંબ સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યો છે. શુક્રવારના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર કચ્છમાં કુલ 28,820 ગ્રાહકોએ ગેસ રિફિલ માટે બુકિંગ કરાવ્યું હતું. તેની સામે સરકારી ત્રણ મુખ્ય ગેસ કંપનીઓ પાસે માત્ર 9,435 બોટલનો જથ્થો જ હાજર હતો. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ 9,370 બોટલ રસ્તામાં છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કરાવ્યાના ચાર-ચાર દિવસ વીતી જવા છતાં ગેસના બોટલ મળતા નથી. ગેસની અછતને છુપાવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોને એક બોટલ લીધાના 25 દિવસ બાદ જ બીજું બુકિંગ કરાવવા દેવામાં આવશે. જો આમાં 4-5 દિવસનો ડિલિવરી સમય ઉમેરવામાં આવે, તો એક સામાન્ય પરિવારને હવે માંડ મહિનામાં એક બોટલ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસની અછતને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે જથ્થા પર કાપ મૂકી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં સરકારે પહેલાથી જ કાપ મૂક્યો છે, જેના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રસોડાઓ પર સંકટના વાદળો છવાયા છે. જો યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો લોકોએ ફરીથી ગેસના બોટલના બદલે ચૂલા કે ઇન્ડકશન સગડી પર રસોઈ બનાવવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. કચ્છમાં ‘ડિમાન્ડ સામે સપ્લાય માત્ર 50 ટકા’નામ ન આપવાની શરતે એક એલપીજી ડીલરે જણાવ્યું હતું કે, ભુજમાં અત્યારે જે જરૂરીયાત છે તેની સામે કંપનીઓ દ્વારા માત્ર 50% જ જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. અમે જેટલો ઓર્ડર આપીએ છીએ તેનાથી અડધો માલ પણ મળતો નથી, જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનને લઈને છે, ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝમાંથી નીકળવાની પરવાનગી આપી દીધી છે. આ જહાજો પર હજારો ટન LPG છે. બીજા સમાચાર પીરિયડ્સમાં પેઈડ લીવની માંગવાળી અરજી ફગાવી દેવા અંગેના છે.⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદીના અસમ પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ સિલચરમાં ભૂમિપૂજન કરશે અને આશરે 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. 2. અસમ પછી પીએમ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. ₹18,680 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- ભારત અમારો મિત્ર, તેમને સુરક્ષિત રસ્તો આપીશું:હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતના જહાજોને ઈરાનનું ગ્રીન સિગ્નલ; ઓમાનમાં ડ્રોન હુમલામાં 2 ભારતીયોનાં મોત ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું છે કે ઈરાન ભારતને સુરક્ષિત માર્ગ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા ફતહાલીએ કહ્યું કે તમે આગામી બે કે ત્રણ કલાકમાં તેની અસર જોશો. અમને વિશ્વાસ છે કે ઈરાન અને ભારત આ ક્ષેત્રમાં સમાન હિતો ધરાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. પીરિયડ્સમાં પેઇડ લીવની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી:CJI બોલ્યા- જો કાયદો બનાવવામાં આવશે તો મહિલાઓને કોઈ કામ નહીં આપે, તેમનું કરિયર ખતમ થઈ જશે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દેશભરની મહિલા વિદ્યાર્થીઓ અને નોકરી કરતી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેઇડ લીવ આપવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી. CJI સૂર્યકાંતે કહ્યું કે આવી અરજીઓ અજાણતાં જ મહિલાઓ વિશેની રૂઢિગત માન્યતાઓને વધુ મજબૂત કરી શકે છે. જો આ કાયદો બનાવવામાં આવે તો મહિલાઓને કોઈ કામ નહીં મળે, તેમની કારકિર્દી સમાપ્ત થઈ જશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. યુવક પાસેથી બદમાશો ગેસનો બાટલો છીનવી ગયા:દેશભરમાં ગેસના બાટલાની અછતના કારણે અફરાતફરી; પંજાબમાં બાટલા લઈને લોકો દોડ્યા, ગેસ માટે લાઈનમાં ઊભેલા વૃદ્ધને હાર્ટએટેક અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે. કોમર્શિયલ સિલિન્ડરનું બુકિંગ 4 દિવસથી બંધ છે. જ્યારે પંજાબમાં લાઈનમાં ઉભેલા એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. કેરળમાં રસોઈ ગેસની અછતને કારણે લગભગ 40% રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કુલદીપ યાદવની હલ્દીમાં યુઝવેન્દ્ર ચહલનો ડાન્સ, VIDEO:સાંજે સંગીત અને કોકટેલ પાર્ટી; સૂર્યકુમાર-રોહિત સામેલ થઈ શકે છે ક્રિકેટર કુલદીપ યાદવના લગ્નને લઈને મસૂરીમાં સમારોહ શરૂ થઈ ગયા છે. સવારે 11 વાગ્યાથી હલદીની વિધિ શરૂ થઈ, જે બપોરના લગભગ બે વાગ્યા સુધી ચાલી. ત્યારબાદ મહેમાનોએ સ્પેશિયલ લંચ કર્યું, જેમાં એક થાળીની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ છે. હલદી પછી સમારોહમાં ડાન્સ અને મસ્તીનો દોર શરૂ થઈ ગયો. આ પહેલા જ ક્રિકેટ અને મનોરંજન જગતની ઘણી હસ્તીઓ મસૂરી પહોંચી ચૂકી હતી. આ ઉપરાંત રિંકુ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર અને બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર પણ સમારોહમાં સામેલ થવા માટે મસૂરી પહોંચ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની પણ ટિકિટો મોંઘી: ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ₹425 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ₹2300 સુધી વધારાનો ચાર્જ લાગશે, કારણ- જેટ ફ્યુઅલ મોંઘું એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ આવતીકાલથી મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી એરલાઇન કંપનીએ શુક્રવારે તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 'ફ્યુઅલ સરચાર્જ' લગાવવાની જાહેરાત કરી છે. એરલાઇને જણાવ્યું કે ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ફ્યુઅલની કિંમતો 85% સુધી વધી ગઈ છે. આ કારણે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટો પર ₹425થી ₹2300 સુધીનો સરચાર્જ લગાવવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો વિદ્યાર્થી નીકળ્યો:ધો.10ની પરીક્ષા ન આપવા પ્રેંક, મેસેજમાં લખ્યું-'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ ટુમોરો, ગોડ ઈઝ ગ્રેટ, અલ્લાહુ અકબર' 5 માર્ચના રોજ વડોદરાના મકરપુરા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્કૂલને ધમકી આપનાર બહારનો કોઈ વ્યક્તિ નહીં પરંતુ સ્કૂલનો વિદ્યાર્થી જ હતો. જે હાલ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ધમકીને પગલે મકરપુરા પોલીસે ચેકિંગ પણ કર્યું હતું. આખી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. આકાશમાંથી વરસવાની છે આફત:18-19મીએ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા; કેસર કેરીના પાકને નુકસાન થવાની સંભાવના ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન વિભાગે હવે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી હોવાની આગાહી કરી છે. આગામી 18 અને 19 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હિમાચલના પ્રવાસન પર મિડલ ઇસ્ટમાં તણાવની અસર:હોટલોમાં 50% એડવાન્સ બુકિંગ રદ, રોજનું લાખોનું નુકશાન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી:મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ; તાલિબાને કહ્યું- આનો જવાબ આપીશું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોનાલિસાએ જ ડિરેક્ટરની ફિલ્મ કરી નાખી, કરોડોનું દેવું થઈ ગયું:ડિરેક્ટરે કહ્યું- મારી સ્થિતિ રાજપાલ યાદવ જેવી, ફિલ્મ રિલીઝ કેવી રીતે કરું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાએ H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો:હવે પગારના આધારે સિલેક્શન થશે; 1 એપ્રિલથી નવું ફોર્મ I-129 લાગુ પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોના-ચાંદીનાં ભાવ ઘટ્યા:સોનું ₹1,748 ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ આવ્યું, ચાંદીમાં પણ ₹8,350નો ઘટાડો થયો; અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રનઆઉટના ચક્કરમાં બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે વિવાદ:નાટકીય અંદાજમાં સલમાન અલીને BAN કેપ્ટને પેવેલિયન ભેગો કરતા મેદાન પર જ દલીલ થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 માર્ચે પાપમોચની એકાદશી:સુખ-શાંતિ અને સફળતાની કામના માટે વ્રત કરો; રવિવારથી મીનારક કમુહૂર્તાનો પણ પ્રારંભ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રાજસ્થાનમાં ચોરી કરીને મહિલાઓ દાગીના ગળી જતી હતી રાજસ્થાનમાં ભીલવાડા પોલીસે એક મહિલા ચોર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગની મહિલાઓ જ્વેલરી ચોરી કર્યા પછી તેને ગળી જતી હતી. જ્યારે પોલીસ કર્મચારીઓએ 7 મહિલાઓની ધરપકડ કરીને મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે તેમના પેટમાંથી મંગળસૂત્ર અને સોનાના મોતી મળી આવ્યા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : મંત્રીએ પૂછ્યું ગુજરાતના CM કોણ?, જવાબ મળ્યો ‘મોદીજી’:અધિકારી ‘BF-GF’ બોલ્યા ને ચર્ચામાં આવી ગયા; ગેસની અછત પર વોટ્સએપમાં જબરા મેસેજ ફરતા થયા 2. એક્સક્લૂસિવ : દુબઇમાં ફસાયેલા પતિ-પત્નીને જ્યારે BAPSના સંતનો ફોન આવ્યો:ભાસ્કરને કહી આંખ ભીની કરી દેતી આપવીતી; એરપોર્ટ બંધ થઇ ગયું, હોટલ પર પહોંચ્યા તો ભાડું વધી ગયું 3. ફિલ્મી ફેમિલી : સેમિફાઇનલમાં ભારત હારતા શફી ઇનામદારનું હાર્ટ અટેકથી મોત:ગુજરાતીની આંગળી પકડી નાટકો શીખ્યા, કાર થાંભલા સાથે અથડાતા પત્નીનું મોત 4. 'UPમાં અવિમુક્તેશ્વરાનંદ કેસ અને UGCનો કાઉન્ટર કરે BJP':RSSનો મેસેજ- યોગી જ ચહેરો, શિસ્તહીન લોકોને બહાર કરો 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : ફિલ્મ નિર્માતાની શંકાના વમળમાં પરિવાર હોમાયો!:દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડથી નારાજ, પત્ની પર આડા સંબંધનો આરોપ; એક્ટર કમલનું 'થ્રિલર ફિલ્મી' જીવન 6. આજનું એક્સપ્લેનર:1600 કરોડ મળ્યા હતા, ટ્રમ્પે 6 દિવસમાં જ 20 ગણા ઉડાવી દીધા; ક્યાંથી આવ્યા ઈરાન સામેના યુદ્ધના પૈસા, કેવી રીતે થશે ભરપાઈ? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: વૃષભ અને વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે દિવસ ભાગ્યશાળી રહેશે, મિથુન અને મીન રાશિને મિલકતના સોદામાં સફળતા મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
આદમી ન ઊંચા હોતા હૈ, ન નીચા હોતા હૈ, ન બડા હોતા હૈ, ન છોટા હોતા હૈ, આદમી સીર્ફ આદમી હોતા હૈ.. સાંભળતાં જ અટલ બિહારી વાજપેયીની કવિ છબી નજર સમક્ષ આવતી હોય છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘હું અટલ છું’: અટલજીનું સાહિત્ય’ વિષયે યોજાયેલા પરિસંવાદમાં ડો.દર્શિની દાદાવાલાએ સમુદ્ર મંથનની કથાથી શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, માનવ દેવ કે દાનવ નથી. તેની શક્તિઓ સીમિત છે. આ કથાનો માનવ છલ નહીં, બલ પૂર્વક જીવે છે. સીમિત શક્તિઓનો અર્થપૂર્ણ ઉપયોગ કરે છે. આ માનવ વાસ્તવમાં કવિ છે. તેઓએ કાવ્યોથી જનવાણીમાં જીવન પ્રવાહ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. રાજનેતાના રૂપમાં યાદ કરીએ છીએ પણ કવિના રૂપમાં યાદ નથી કરતા. મ.સ.યુનિ.માં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિસી રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં 120 જેટલા પ્રોફેસર, સંશોધક અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં એન એનોટેટેડ બિબ્લોગ્રાફી નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
ઝળહળતી સિદ્ધિ:ડિસ્ટ્રિક્ટ લેવલ ચેસ કોમ્પિટિશનમાં અંડર-7માં રિદિત મલિક અને જિઆ ગાંધી બીજા ક્રમે આવ્યા
સરગમ એકેડેમી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ચેસ ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. જેથી તેઓ વિવિધ રમતો શીખી અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પણ જતા હોય છે. આવી જ એક ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન વડોદરા ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેની અંદર મોટી સંખ્યાની અંદર વડોદરા જિલ્લાથી અલગ અલગ કેટેગરીની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રિદિત મલિકે અંડર-7 છોકરાઓની શ્રેણીમાં બીજું, જિઆ ગાંધીએ અંડર-7 છોકરીઓની શ્રેણીમાં પણ બીજું, આશ્વી તાવીયાડ - અંડર-11 છોકરીઓ શ્રેણીમાં બીજું, પ્રાનશુલ મિસ્ત્રીએ અંડર-7 શ્રેણીમાં 8મું અને યુગ રાણા અંડર-7 શ્રેણીમાં 9મું સ્થાન મેળવ્યું હતું.
અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફર અમિત મકવાણા દ્વારા ‘થ્રૂ માય વિઝન’ નામે પિક્ટોરીયલ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું હતું. પ્રદર્શનમાં કુલ 30 ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા, જેમાં કચ્છ, મહારાષ્ટ્ર, શિમલા અને અમદાવાદ જેવા સ્થળોના દૃશ્યો કેદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નવરાત્રી દરમિયાન પનઘટ ગ્રુપ પ્રેક્ટિસ કરી રહ્યું હતું ત્યારે લેવામાં આવેલો ફોટોગ્રાફ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 15-16 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો છું અને તેઓ મારો શોખ છે. પ્રદર્શનમાં વિવિધ સ્થળોની સંસ્કૃતિ, જીવનશૈલી અને કુદરતી દૃશ્યોને પિક્ટોરીયલ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ASI આપઘાત કેસ:એએસઆઈએ કામના તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ
દંતેશ્વરમાં રહેતા એએસઆઈએ ગુરુવારે બેડરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. એક જ અઠવાડિયામાં 2 પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મકરપુરા પોલીસે એએસઆઈના આપઘાત કેસમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, તેઓને કામનું ભારણ હતું અને 4 મહિનાથી કહેતા હતા કે, કામનું ભારણ વધારે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અનુ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય એએસઆઇએ ગુરવારે આપઘાત કરી લીધો હતો. મકરપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. સપ્તાહમાં 2 પોલીસ કર્મીઓના આપઘાતને કારણે પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. જેમાં પરિવારના નિવેદન સાથે સહકર્મચારીના નિવેદનો લેવામાં આવશે. પીએસઆઈ જે.એસ વસાવાએ જણાવ્યું કે, તેઓ 4 મહિનાથી કહેતા હતા કે, કામનું ભારણ છે. અધિકારી પર આક્ષેપ કર્યાનું બહાર આવ્યું નથી. તપાસ થઇ રહી છે. તેઓને હ્રદયમાં 2 સ્ટેન્ડ મુકાવ્યા હતા, તેઓની દવા ચાલી રહી હતી.
નિઝામપુરા એસટી ડેપોની નજીક મુખ્ય રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભર ઉનાળે હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. લાઈનમાંથી નીકળેલું પાણી રોડ પર ફેલાવ્યું હતું અને અંદાજિત 1 કિમી લાંબો રેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી સમારકામ શરૂ કર્યું હતું. હાલમાં તાપમાનનો પારો ઊંચે જતા પાણીની માંગ પણ વધી છે. તેવામાં નિઝામપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં પડેલા ભંગાણના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. નિઝામપુરામાં એસટી બસ ડેપો નજીક પાણીની લાઈનમાં ભંગાર થતા રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકોને પરીક્ષાની થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે, એક જ સ્થળ પર ત્રીજી વખત લાઈનમાં લીકેજ થયું છે. એક મહિનામાં આ બીજી વખતનું લીકેજ છે. વારંવાર આજ સ્થળે પાણીની લાઈન તૂટી હોવા છતાં તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેના કારણે પાણી લોકોને મળવાની જગ્યાએ ગટરમાં જઈ રહ્યું છે. ભર બપોરે પાણી નીકળતા દુકાનો અને સોસાયટીમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી. પાલિકાની વોર્ડની ટીમ સ્થળે દોડી હતી અને સમારકામ શરૂ કર્યું હતું.
4 દિવસ પૂર્વે સોમવારે સાંજે માથું ફાડી નાખતી દુર્ગંધ ફેલાઇ હતી. તે પછી જીપીસીબીએ નંદેસરી જીઆઇડીસી સહિત 6 ઉદ્યોગને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જીપીસીબીએ સૂચવેલા સુધારા અને સાવચેતી ઉદ્યોગોને લેવાની છે. જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલે કહ્યું કે, 4 દિવસથી ટીમો 4થી 6 યુનિટમાં રૂબરૂ ઇન્સ્પેક્શન કરી રહી છે. 7 દિવસ પછી કોઇ ઉદ્યોગ પકડાશે તો કાર્યવાહી કરાશે.સૂત્રોએ કહ્યું કે, કેટલાક ઉદ્યોગો જુદી જુદી બેચમાં પ્રક્રિયા કરે છે. જીપીસીબીએ નંદેસરી એસો.ને બપોરથી રાત સુધી દુર્ગંધ ફેલાય તેવી પ્રોસેસ ન કરવા જણાવ્યું છે. ભાસ્કર ઇનસાઇડનાગરિકોના આરોગ્ય પર દુર્ગંધની અસરનો અભ્યાસ જ કરાયો નથીવડોદરામાં દુર્ગંધની સમસ્યા દાયકા જૂની છે, પણ દુર્ગંધ ફેલાય ત્યારે લોકોના મનમાં ભય ફેલાય છે. હજારો લોકો સાથે સંકળાયેલી સમસ્યા છે અને આ મુદ્દે અત્યાર સુધીની સરકારો દ્વારા તેની માનવ આરોગ્ય પર શી અસર થાય તેનો અભ્યાસ કરાયો નથી કે ચૂંટાયેલા કોઇ નેતાએ ક્યારેય આ વિશે જાહેર માગ કરી નથી. જીપીસીબીનાં પ્રાદેશિક અધિકારી માર્ગીબેન પટેલ કહે છે કે, આ દુર્ગંધના મૂળમાં કોઇ એક વાયુ જવાબદાર હોતો નથી. બેથી વધુ વાયુ ભેગા થતાં વિચિત્ર વાસ સર્જાય છે. આ માત્ર પ્રદૂષકોની બાબત નથી. દાખલા તરીકે પેટ્રોલની વાસ કેટલાકને ગમતી નથી પણ તે વાસ આવે છે એટલે તે પ્રદૂષક છે એવું નથી. આ ઉદ્યોગોને પ્રોસેસનો સમય બદલવા સૂચના 1. નંદેસરી જીઆઇડીસી : બધા જ પ્રકારના ઉદ્યોગો છે, તેથી દુર્ગંધના એકથી વધુ સ્રોત 2. રિફાઇનરી : હાઇડ્રોકાર્બન 3. GSFC : એમોનિયા, સલ્ફર ડાયોક્સાઇડ-એસિડની વરાળ 4. રિલાયન્સ : હાઇડ્રોકાર્બન 5. પાનોલી ઇન્ટરમિડિયેટ : વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજનો 6. જયંત એગ્રો : વોલેટાઇલ ઓર્ગેનિક સંયોજનો (સ્ત્રોત : જીપીસીબી વડોદરા)
ગેસ બોટલ માટે સતત ત્રીજા દિવસે રઝળપાટ:વાસણામાં લોકો જતાં એજન્સી બંધ મળી, માટીના ચૂલાનું વેચાણ વધ્યું
ગેસ બોટલ મુદ્દે સતત ત્રીજા દિવસે હોબાળો જોવા મળ્યો હતો. વાસણામાં ઇન્ડિયન ગેસ એજન્સી પર પહોંચેલા લોકોને એજન્સી બંધ મળી હતી. જેથી લોકોએ રોષ ઠાલવી કહ્યું કે, બોટલોનું ઓનલાઇન બુકિંગ કરવાનું કહે છે, પરંતુ બુકિંગ થતું નથી. બીજી તરફ શહેરમાં માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. અગાઉ અઠવાડિયે 1 ચૂલો વેચાતો હતો, જ્યારે હાલ 10થી વધુ ચૂલા રોજ વેચાય છે. યુદ્ધને કારણે ગેસની અછત થવાની શક્યતા વચ્ચે ગેસના બોટલ માટે 3 દિવસથી એજન્સીની બહાર લાઇનો લાગી રહી છે. બીજી તરફ સંચાલકો એજન્સી બંધ કરી દરવાજા પર ઓનલાઇન બુકિંગ કરવા જણાવાય છે. એજન્સીમાં બોટલ લેવા પહોંચેલા નાગરિકે કહ્યું કે, 6 દિવસથી બોટલ નોંધાવ્યો છે, પણ હજુ મળ્યો નથી. અન્ય નાગરિકે બળાપો ઠાલવતાં કહ્યું કે, સર્વર ડાઉન છે. બુકિંગ માટેનો નંબર લાગતો નથી. બોટલોના કાળા બજાર થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કોમર્શિયલ બોટલોની ભારે અછત છે ત્યારે ઘરગથ્થુ બોટલોનો કોમર્શિયલી ઉપયોગ થઇ રહ્યો છે. ઘરગથ્થુ બોટલો વધુ ભાવે લઇ રેસ્ટોરન્ટ સહિતની ખાણી-પીણીની લારી પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકોએ ગભરાવાની જરૂર નથીજિલ્લામાં ગેસના જથ્થાની કોઈ અછત નથી. વડોદરાના નાગરિકોને ગેસના જથ્થા બાબતે ગભરાવાની કે પેનિક થવાની જરૂર નછી. દરેક ગ્રાહકને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહેશે. > ગીતાબેન દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી લાકડાનો ઉપયોગ કરી દાળ, ભાત, શાક બનાવીએ છીએલગ્નો સાથે રેગ્યુલર કેટરિંગ સર્વિસ ચાલે છે ત્યારે બોટલની અછત છે.લાકડાના ઉપયોગથી કેટરિંગમાં દાળ, ભાત, શાક બનાવીએ છીએ. જ્યારે પૂરી સહિત ફરસાણ માટે ગેસનો ઉપયોગ કરાય છે. બોટલ 5 દિવસ ચાલે તેટલી જ વ્યવસ્થા છે. > નીતિન પટેલ, કેટરર્સ ચાની લારી, સેવઉસળ-ભજિયાં વેચતા દુકાનદારો માટીના ચૂલા ખરીદી રહ્યા છેગેસ બોટલ મળતા નથી, જેથી માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. પહેલાં અઠવાડિયે 1 ચૂલો વેચાતો હતો, હવે રોજના 10થી વધુ વેચાય છે. રૂા.500 થી 1500ના માટીના ચૂલા હોય છે. જે ઇંટ અને માટીના લીંપણથી તૈયાર કરાય છે. અત્યારે ચાની લારીવાળા, સેવઉસળવાળા, ભજિયાની લારી ચલાવતા વેપારીઓ માટીના ચૂલા લઇ જાય છે. > રાકેશ પ્રજાપતિ, કુંભાર ઇસ્કોન મંદિર દ્વારા 1200 મણ લાકડાં ખરીદ્યાંગોત્રી ઇસ્કોન મંદિરે 1200 મણ લાકડાં ખરીદ્યાં છે. નિત્યાનંદ સ્વામીએ જણાવ્યા મુજબ મંદિરના સ્ટાફ અને ભક્તો સહિત રોજ 300 લોકોનું સવાર-સાંજ જમવાનું બને છે. અત્યારે બોટલ મળી રહે છે. આગામી સમયમાં સમસ્યા સર્જાય તો ભંડારો બંધ ન કરવો પડે તે માટે લાકડાં ખરીદ્યાં છે.રૂા.160ના એક મણના ભાવે આ લાકડાં ખરીદાયાં છે. હજુ વધુ લાકડાં ખરીદીશું.
આકારણી શાખામાં 14-14 વર્ષથી ચીપકેલા સિનિ. ક્લાર્કની સાગમટે બદલી કરાતાં સોંપો પડી ગયો છે. નિયમ મુજબ બદલી કરી હોવાનું ડે.કમિશનરે કહ્યું હતું. જોકે કરોળિયામાં જમીન-આકારણી વિવાદ બાદ કાર્યવાહી કરાયાનું મનાય છે. કરોડિયામાં જમીન-આકારણીના વિવાદમાં આકારણી વિભાગમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. ડે.કમિશનર ગંગા સિંઘે વર્ષોથી આકારણી વિભાગમાં ફરજ બજાવતા 5 સિનિ. ક્લાર્ક અને 2 જુ. ક્લાર્કની બદલી કરી છે. સૂત્રો મુજબ આકારણીના કેટલાક કર્મીની અગાઉ બદલી થઈ હતી. જોકે ફરી તે આકારણી વિભાગમાં આવી જતાં વિવાદ થયો હતો. નોંધનીય છે કે, કરોડિયા જમીન વિવાદમાં વોર્ડ 8ના મહામંત્રી અને પ્રમુખનાં રાજીનામાં લેવાયાં હતાં. કરોડિયા જમીન-આકારણી વિવાદમાં વોર્ડ 8નો પટાવાળો આખરે સસ્પેન્ડભૂતકાળમાં પાલિકાના કેટલાક કર્મી દ્વારા નેતા-વગદારોની મિલકતની આકારણીમાં ફેરફાર કરી ફાયદો કરાવ્યો હોવાની ફરિયાદો ઊઠી હતી. તાજેતરમાં કરોડિયાની બિનખેતી જમીનમાં બાંધકામ અને વેચાણ કરી છેતરપિંડી કરાયાનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જ્યારે આકારણી મુદ્દે વિવાદ થયો હતો. સૂત્રો મુજબ આકારણી વિવાદમાં વોર્ડ 8ના પટાવાળા રણજિતસિંહ મકવાણાની વિવાદાસ્પદ ભૂમિકા જણાઈ હતી. વોર્ડના અધિકારીઓની મૌખિક રજૂઆતને ધ્યાનમાં રાખી પટાવાળા રણજિતસિંહને સસ્પેન્ડ કરાયો છે. અધિકારીઓનું કહેવું છે કે, આકારણી વિવાદની તપાસ કરવાની હોવાથી કાર્યવાહી કરી છે. આ મુદ્દે પાલિકા કે અન્ય તરફથી પોલીસ ફરિયાદ થઇ નથી.
પુલનું સમારકામ પૂર્ણ થતાં પાલિકાનો નિર્ણય:લાલબાગ-રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી કાર્યરત કરાશે
ભરઉનાળે બંધ રહેલા લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી ખુલ્લા મુકાશે. ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બંને પુલમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સમારકામ કરવાનું હોવાથી બંધ કરાયા હતા. જોકે સરદારબાગ સ્વિમિંગ પુલ હજી બંધ જ છે. લાલબાગ, રાજીવ ગાંધી અને સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ રહેતાં સ્વિમરોનો કારેલીબાગ સ્વિમિંગ પુલમાં ધસારો વધ્યો હતો. તેવામાં પાલિકા આગામી સોમવારથી લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ શરૂ કરશે. ટુરિસ્ટ વિભાગનાં સૂત્રો મુજબ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે સમારકામ કરાય છે. જે પૂર્ણ થતાં બંને પુલ ખુલ્લા મુકાશે. નવા એડમિશન માટે 23મીથી ઑનલાઇન પ્રકિયા શરૂ થશેપાલિકાના ટુરિસ્ટ વિભાગે કહ્યું કે, એપ્રિલથી ચાલુ વર્ષ માટે નવા સભ્યપદની એડમિશન પ્રક્રિયા શરૂ કરાશે. 23 માર્ચથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. તમામ પ્રવેશ પાવતીની નકલ સાથે રાખવી પડશે. જ્યારે આજીવન સભ્યપદ ધરાવતા સ્વિમરોએ નવા મેડિકલ ફિટનેસ ફોર્મ ભરી મેડિકલ ઓફિસરના સિક્કા સાથે જમા કરાવવાના રહેશે.
ચોરીનો મામલો આવ્યો સામે:મોરબીમાં કોટન મિલમાંથી CCTV, TV, વાયર સહિત 2.05 લાખની ચોરી
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલી બંધ પડેલી કોટનમીલમાંથી તસ્કરો સીસીટીવી કેમેરા, એનવીઆર, ટેલિવિઝન, કોપર વાયર તેમજ કોપર પ્લેટ સહિતની ચીજવસ્તુ મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જો કે બંધ પડેલી કોટન મીલમાંથી આઠ દિવસ પહેલા થયેલી ચોરીની હવે છેક ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી અંગે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે નવનિયુક્ત આઇજી નિર્લિપ્ત રાયે આ મુદે ફરિયાદ ન નોંધવા મુદે હજુ પણ વધુ કડક વલણ અપનાવવું જ રહ્યું. મોરબીના ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમીલ પાછળ આવેલી બજરંગ કોટનમીલ હાલ બંધ હાલતમાં હોય તસ્કરોએ તેનો ગેરલાભ ઉઠાવી ચોરીના ઇરાદે ગત 3 માર્ચના રોજ બંધ કોટનમિલમાં ત્રાટકયા હતા. તસ્કરોએ આ આખી કોટનમિલને ધમરોળી તેમાં રહેલા સીસીટીવી કેમેરા, સીસીટીવીનું એનવીઆર, ટીવી, કોપરની પ્લેટ તેમજ અલગ અલગ લંબાઈના કોપર વાયર સહિત કુલ રૂપિયા 2,05,000ની માલમતા ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પોતાની બંધ કોટનમિલમાં ચોરી થયાનું માલુમ પડતા શહેરના રવાપર ઘુનડા રોડ, બોનીપાર્ક પાછળ, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા કોટનમીલના સંચાલક જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ તાલુકા પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
નંદીઘરના શ્રીગણેશ કરાયા:મોરબીમાં રખડતા ભટકતા ગૌવંશને સાચવવા ફરીથી નંદીઘર શરૂ કરાયું
મોરબીમાં નગરપાલિકા વખતે પંચાસર રોડ ઉપર નંદીઘર કાર્યરત હતું. પરંતુ તેમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા આ ગૌવશને નિભાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થતા તમામ ગૌવશને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી નંદીઘર બંધ કરાયા મનપાએ ફરીથી નંદીઘરને ચાલુ કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા નંદીઘરને ફરીથી તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી અંદાજે ૧૫૦ ખૂંટને પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે. જેમાં રખડતા પશુની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા ANCD શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપી ૩૩ પેટ ડોગના રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને પશુ રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરી છે.
મોરબી નજીક આવેલા અને સૌથી વધુ વિકસિત ગામ તરીકે ઓળખાતા રવાપરના પાદરની જગ્યાનો ગ્રામજનો રમત ગમતના મેદાન તરીકે અને સામાજિક, ધાર્મિક પ્રસંગો તરીકે ઉપયોગ કરતા હોવા છતાં મનપાએ એ સ્થળે શાક માર્કેટ બનાવવાના નામે ઉપયોગી સુવિધા ઉપર તરાપ મારી હોવાનો સૂર ગ્રામજનોમાંથી ઉઠવા પામ્યો છે. આથી ગ્રામજનોએ કલેકટરને આવેદન આપી શાક માર્કેટ રદ કરી આ જગ્યાને ગ્રામજનોની સુવિધા માટે જ જેમની તેમ યથાવત રાખવાની માંગ કરી છે અને જો મનપા નિર્ણય રદ નહિ કરે તો આંદોલનની આપી છે. રવાપર ગામના લોકોએ કલેકટરને આવેદન આપતા જણાવ્યું હતું કે, રાજાશાહી વખતે જ રવાપર ગામના તેમના પૂર્વજોને ગામના પાદરની ખરાબાની જગ્યાને રમત ગમત, ધાર્મિક, સામાજિક કાર્યો માટે ફાળવવામાં આવી હતી. આથી વર્ષોથી ગામ લોકો આ સ્થળનો રમત ગમતના મેદાન તેમજ ગામના વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે. આ સ્થળ રવાપર ગામની પ્રાથમિક સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રમવા માટેનું એકમાત્ર મેદાન હોય એમાં વિવિધ રમતો અનેક રચનાત્મક પ્રવૃત્તિઓથી ગામના બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાનું જાહેર કરીને સમસ્ત ગ્રામજનોની ઉપયોગી સુવિધા છીનવાનો પ્રયાસ કરવામાં આવતા ગ્રામજનોએ મનપાના આ નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જો અહીં શાક માર્કેટ બનશે તો સડેલા શાકભાજી જ્યાં ત્યાં ફેંકવાથી ગંદકી ફેલાશે અને બાળકોનું રમત ગમતનું મેદાન તેમજ ગ્રામજનોના ધાર્મિક, સામાજિક કાર્યોની સુવિધા બચશે જ નહીં તેવી ભીતિ વ્યક્ત કરી જો મનપા અહીં શાક માર્કેટ બનાવાનો નિર્ણય રદ નહિ કરે તો આગામી દિવસોમાં કાયદાકીય રાહે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

33 C