SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મનપાના ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ:કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ઉમેદવારી પરત લીધી, જુઓ હરિફોની ફોટો સાથેની ફાઈનલ યાદી

રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણી માટે 15 એપ્રિલ (બુધવારે) ઉમેદવારોના ફોર્મ ભરવાની મુદત્ત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની 300થી વધુ બેઠકો બિનહરીફ થયાનો દાવો કરાયો છે. અમદાવાદ મનપામાં 4, વડોદરા મનપામાં 2 અને સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે રાજકોટમાં તમામ ઉમેદવારો અકબંધ રહ્યા છે. હવે જ્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે ત્યારે ચારેય શહેરોમાં કયા ઉમેદવાર સામે કોની ટક્કર થશે તેની ફોટો સાથેની યાદી જુઓ... અમદાવાદ મહાનગરપાલિકાઅમદાવાદ મહાનગરપાલિકા કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે એક ઉમેદવારે મેન્ડેટ મેળવ્યા બાદ ફોર્મ જ નહોતું ભર્યું. ચૂંટણી પહેલા જ ભાજપની વાસણા અને થલતેજ વોર્ડમાં એક એક બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. અમદાવાદમાં મનપાની 192 બેઠકમાંથી કોંગ્રેસના 187 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેની વોર્ડ વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ. સુરતમાં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આપના 111 ઉમેદવારો ચૂંટણી મેદાનમાંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 16 ઉમેદવારોએ પોતાના નામાંકન પાછા ખેંચતા હવે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારો વચ્ચે રાજકીય સંગ્રામ ખેલાશે. ખાસ કરીને આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરત મનપાની ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 1059 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ટેકનિકલ કારણોસર 561 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આજે નામ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરસેવકોની પસંદગી કરશે. રાજકીય પક્ષોના ગણિત પર નજર કરીએ તો, સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીએ 111 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આ ઉપરાંત 135 જેટલા અપક્ષ અને અન્ય નાના પક્ષોના ઉમેદવારો પણ મુખ્ય પક્ષોના સમીકરણો બગાડવા માટે તૈયાર છે.ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના વોર્ડ વાઈઝ ઉમેદવારોની ફોટો સાથેની યાદી જુઓ. વડોદરા મહાનગરપાલિકાવડોદરા મહાનગરપાલિકામાં આજે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે ભારે ઘમાસાણ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વડોદરાની 76 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. મહાનગરપાલિકાની 76 બેઠક ઉપર બે બેઠક બિનહરીફ થઈ છે જેમાં વોર્ડ 2માં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ધ્રુવિતા બ્રહ્મભટ્ટ બિનહરીફ થયા છે તો વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ થયા છે. 76 બેઠકમાંથી 2 બેઠક બિનહરીફ થતા હવે 74 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. હવે 74 બેઠક ઉપર કુલ 258 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. વોર્ડ વાઈઝ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ફોટો સાથેની યાદી જુઓ... રાજકોટ મનપાની ચૂંટણીનું ચિત્ર ફાઈનલ, કૂલ 236 ઉમેદવારો ચૂંટણી મેદાનમાંરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાનમાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના 3 સહિત કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. વોર્ડ વાઈઝ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ફોટો સાથેની યાદી જુઓ... ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે મહેસાણા મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 12:14 am

સુરતમાં માતાએ બંને દીકરીઓને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું:પતિને ફોન કરી કહ્યું- ‘મારે હવે જીવવું નથી’, બપોરે સાથે જમ્યા અને બાદમાં ખેલ ખેલાયો

સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડભોલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ માતા અને બંને પુત્રીઓ સ્મીમેર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પતિ કારખાને ગયા અને બાદમાં ખેલ ખેલાયોમળતી માહિતી પ્રમાણે, સુરતના ડભોલી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા મનસુખભાઈ (નામ બદલેલ છે) બુધવારે બપોરે ઘરે જમવા આવ્યા હતા. પત્ની અને બાળકો સાથે ખુશી-ખુશી જમ્યા બાદ તેઓ પરત કારખાને ગયા હતા. જોકે, તેમના ગયા બાદ કીર્તિબેને (નામ બદલેલ છે) ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પી લીધી હતી. પતિને ફોન કરીને કહ્યું- ‘મેં દવા પી લીધી છે’ઝેર ગટગટાવ્યા બાદ કીર્તિબેને પતિને ફોન કરીને ચોંકાવનારી જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારે હવે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈને જાણ કરી ઘરે દોડવા કહ્યું હતું. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. માસૂમ દીકરીઓ બેડ પર બેસી રડતી હતીઘટનાસ્થળે પહોંચેલા ભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે હું રૂમમાં ગયો ત્યારે બંને માસૂમ દીકરીઓ બેડ પર બેસીને રડતી હતી, જ્યારે બેન તેમની સામે જ બેભાન હાલતમાં પડ્યા હતા. મોટી દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, મમ્મીએ અમને દવા પીવડાવી અને પછી પોતે પણ પી લીધી. મને ઉલટી પણ થઈ છે. તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં માતા ICUમાં અને બંને બાળકીઓ PICU વોર્ડમાં દાખલ છે. રવિવારે વતનમાં લગ્ન હતાપરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, આગામી રવિવારે મહુવા ખાતે સંબંધીના લગ્ન હોવાથી આખો પરિવાર વતને જવાનો હતો. તે માટે કપડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરી લેવામાં આવી હતી. ઘરમાં પ્રસંગનો માહોલ હતો, પરંતુ તે પહેલા જ બુધવારે આ અઘટિત ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. નાની-નાની વાતોમાં થતા ઝઘડા કારણભૂત?જયસુખભાઈના જણાવ્યા અનુસાર, પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી રસોઈ બનાવવા બાબતે કે જમવા બાબતે તેમજ અન્ય નાની-મોટી ઘરગથ્થુ બાબતોમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલ સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 12:05 am

કાકા-ભત્રીજીની જાહેર જીવન છોડવાની ચેલેન્જ:પૂનમ માડમ- 'કોંગ્રેસનો એક કાર્યકર એના નેતા જોડે ફોટો પડાવી બતાવે'; વિક્રમ માડમ- 'તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દવ'

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. તમામ પક્ષોના ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભાજપ દ્વારા 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જામનગરના સાંસદ પૂનમ માડમે ચેલેન્જ ફેંકી હતી કે, કોંગ્રેસ અને AAPના નેતા સાથે એના કાર્યકરો ફોટો પડાવી દે તો જાહેર જીવન છોડી દઈશ. ભત્રીજી પૂનમ માડમની ચેલેન્જને કાકા વિક્રમ માડમે સ્વીકારી લીધી છે. વિક્રમ માડમે કહ્યું કે, તમે કહો એની સાથે રાહુલ ગાંધીનો ફોટો પડાવી દવ. પૂનમ માડમની ચેલેન્જજામ ખંભાળિયાની જાહેરસભામાં પૂનમબેન માડમે જણાવ્યું કે, આપણી વિકાસયાત્રાને મજબૂતીથી આગળ વધારવાનો મુખ્ય કોઈ પાયો હોય તો તાલુકા-જિલ્લા પંચાયતની સીટોની મજબૂત કડીને વિધાનસભા અને લોકસભા સાથે જોડવી. જેથી તાલુકા કે જિલ્લા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે. કોંગ્રેસ અને AAP વારાઓને પૂછજો એના નેતા સાથે વાત કરવા માટે કેટલા પાપડ બેલવા પડે છે. એના નેતા સાથે વન ટુ વન ઊભા રહીને એક ફોટો પણ જો એ પડાવી દે તો મારે જાહેર જીવન મુકી દેવું છે. ‘નામ તમે નક્કી કરો ચેલેન્જ 48 કલાકની અંદર પુરી કરી દઈશ’ભત્રીજીની આ ચેલેન્જને સ્વિકારતા પૂર્વ સાંસદ વિક્રમ માડમે સોશિયલ મીડિયમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જણાવ્યું કે, ભૂતકાળની અંદર ઘણા બધા આવા ફોટા છે, અમારા સામાન્યમાં સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. હવે હું વિક્રમ માડમ સાંસદને ચેલેન્જ આપું છું કે, નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે એને 48 કલાકની અંદર પુરી કરી દઈશ. ‘જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે’વધુમાં જણાવ્યું કે, નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. તમે 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધી સાથે પડાવીને, આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિકલેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે. મારે એટલું કહેવું છે કે, આપે ચેલેન્જ આપી છે, 12 વર્ષમાં પહેલીવાર એક મર્યાદાઓ હતી એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. ‘તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો’વધુમાં જણાવ્યું કે, જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ, તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપ આપની વાતો ઉપર રહેજો. કોણ છે પૂનમબેન માડમ?પૂનમબહેન માડમે 2012માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપમાં પ્રવેશ કર્યાના ગણતરીના કલાકોમાં જ પૂનમબેનને 2012 વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર ભાજપે ટિકિટ આપી હતી. જેમાં પૂનમબેનની જીત થઈ હતી. 2014 લોકસભા ચૂંટણી આવતા ભાજપે જામનગર લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવતા જામનગર બેઠક પર કાકા વિક્રમ માડમ સામે પૂનમબેનની ટક્કર થઈ હતી. જેમાં પૂનમબેન પોણા બે લાખ કરતા વધુ મતથી જીત મેળવી દિલ્હી પહોંચ્યા હતા. ભાજપે 2019ની ચૂંટણીમાં પણ પૂનમબેનને રિપિટ કરતા સવા બે લાખ કરતા વધુ મતથી જીત મેળવી હતી. જામનગર બેઠક પર સતત બે ટર્મથી જીતતા આવતા પૂનમબેનને ભાજપે 2024માં સતત ત્રીજીવાર મેદાનમાં ઉતર્યા હતા. જેમાં પણ પૂનમબેનની જીત થઈ હતી. પૂનમબેનના પિતા હેમંતભાઈ માડમ પણ 1972થી 1990 દરમિયાન ચાર ટર્મ સુધી અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા. કોણ છે વિક્રમ માડમ?વિક્રમ માડમ ભાણવડ અને ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસના સાંસદ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2014માં ભાજપે તેમનાં જ ભત્રીજી પૂનમ માડમને જામનગરમાં ટિકિટ આપી હતી. જેની સામે વિક્રમ માડમની હાર થઈ હતી.

દિવ્ય ભાસ્કર 16 Apr 2026 12:05 am

બે વર્ષથી નાસતા ફરતો ચોરીનો આરોપી ઝડપાયો.:ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો રાજકોટનો રીઢો આરોપી રેલવે સ્ટેશન પાસેથી દબોચાયો

​ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય તે પોલીસ પકડથી ક્યારેય કાયમી બચી શકતો નથી. આ ઉક્તિને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવી છે. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ચોરીના ગુનાના એક આરોપીને પોલીસે ફિલ્મી ઢબે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ​ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ચૌધરીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હૂણ અને પોલીસ કોન્સ્ટેબલ મુળુભાઈ વાંદાને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વર્ષ 2024 માં નોંધાયેલા આઈ.પી.સી. કલમ 379 અને 114 મુજબના ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી હાલમાં જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે કોઈની રાહ જોઈ ઉભો છે. આ બાતમી મળતા જ પોલીસ ટીમ સક્રિય થઈ હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.​રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી શખ્સને કોર્ડન કરી લીધો હતો. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આશિષ જીતુભાઈ ભીખાભાઈ કટોણીયા (ઉંમર 34) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ રાજકોટના કીટીપરા, ગાયકવાડી શેરી નંબર 05 પાસે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વ્યવસાયે મજૂરી કામ કરે છે પરંતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાથી તે છેલ્લા બે વર્ષથી અલગ-અલગ જગ્યાએ છુપાઈને પોલીસથી બચતો ફરતો હતો.​આ સફળ ઓપરેશનમાં બી ડિવિઝન પીઆઈ એ.બી. ચૌધરી સાથે એ.એસ.આઈ. એસ.એસ. પરમાર, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હૂણ, મુળુભાઈ વાંદા, પરેશભાઈ વરુ, મનિષભાઈ હુંબલ, રઘુવીરભાઈ વાળા અને મુકેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ઉમદા કામગીરી કરી હતી. હાલમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી છે અને તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ પોલીસની આ મક્કમ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:38 pm

સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી:સાવરિયા કોર્પોરેશનના સંચાલકો રૂપીયા મેળવી પેઢીને તાળા મારી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સોનીબજારમાં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવતા કૂણાલભાઈ પાલાએ સાવરિયા કોર્પોરેશન પેઢીને CNC મશીનનો ઓર્ડર આપ્યો હતો જે બાદ આરોપીઓએ લાખો રૂપીયા મેળવી પોતાની પેઢીને તાળા મારી ફરાર થઇ જતાં કૃણાલ ભરતભાઈ પાલા (ઉ.વ.26)એ સાવરિયા કોર્પોરેટર પેઢીના પ્રોપાઈટર રાહુલ સાગઠિયા, જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ સહિતના શખ્સોના વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોનીબજાર જુની ગંધીવાડ માધવ કોમ્પલેક્ષ ખાતે બીજા માળે ઓફિસ નં.213માં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવી સોના-ચાંદીનો વેપાર કરે છે તેમના મિત્ર નૈમિસભાઇ અનાડા કે જે લોન અંગેનું કામકાજ કરે છે તેઓના મકાનની તથા દુકાનની લોન નૈમિસભાઈ મારફતે કરાવી છે જેથી બંન્ને છેલ્લા દોઢેક વર્ષથી એકબીજાના પરીચયમાં હતા. સોના ચાંદીના ધંધાના ડાઇસ કામ માટે CNC મશીનની જરૂરત હોવાથી ત્રણેક મહિના પહેલા દુકાને નૈમિસભાઈ અનાડાને CNC મશીન ખરીદ કરવા બાબતે વાત કરી હતી જેથી નૈમિસભાઇએ તેમના મિત્ર રીધમભાઇ તોગડીયાને મશીન લેવા માટે વાત કરી જણાવ્યું કે, તમારૂ CNC મશીન આપણા ભાવમાં થઈ જશે. એકાદ અઠવાડીયા પછી ફરીયાદીનાં પિતા ભરતભાઈ પાલા, ભાઈ કિશનભાઈ પાલા અને નૈમિસભાઈ અનાડા 150 ફૂટ રીંગરોડ, શિલ્પ કોમ્પ્લેક્ષ, અમૃતા હોસ્પિટલ બાજુમા આવેલ સાવરીયા કોર્પોરેશન નામની પેઢી ખાતે રૂબરૂ ગયા હતા ત્યાં આશિષ પટેલ, જયદીપ નનેરા હાજર હતા. અશીષએ જણાવ્યું કે, આ પેઢીના પ્રોપ્રાઈટર તરીકે રાહુલ સાગઠીયા છે જે હાલ હાજર નથી. હું અને જયદીપ બન્ને સાથે મળીને પેઢીમાં કામ કરીએ છીએ. બાદમાં પિતાએ તેઓને CNC મશીન ખરીદવા બાબતે વાતચીત કરી અને તેઓએ મશીનના ફાઇનલ ભાવ રૂ.67.26 લાખનું કોટેશન કાઢી આપેલ હતુ. પિતાએ આ મશીન માટે લોન લેવાની વાત કરી અને બાકીના રૂપીય બેંક ખાતામાંથી પેઢીમાં ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી. મશીન ખરીદ કરવા માટે લોન લેવાની હોવાથી બીજા દિવસે હોસ્પીટલ ચોક ખાતે આવેલ SBI બેંકમાં લોન માટે ગયા ત્યાંથી કહેવામાં આવ્યું કે, તમને રૂ.49.90 લાખની લોન મળવાપાત્ર છે, લોન 15 દિવસમાં પાસ થઈ જશે. મશીનની લોન સિવાયના બાકી કુલ રૂ.17.36 લાખ RTGS દ્વારા સાવરીયા કોર્પોરેશન નામની પેઢીમાં ટ્રાન્સફર કર્યા હતાં. બાદ આ પેઢીના લેટરપેડ ઉપર બે અલગ અલગ વાઉચરો બનાવ્યા હતા જે વાઉચરો તેમને આપ્યા હતા. ત્યારબાદ તા.09.02.2026ના બેંકે રૂ.49.90 લાખની લોન મંજુર કરતાં સાવરીયા કોર્પોરેશન પેઢીમા ટ્રાન્સફર કર્યા હતા. જયદીપ તથા જેમલએ ઈ-મેઈલ કન્ફોર્મેશન થઈ ગયાનું અને પેઢીના બેંક ખાતામાં રૂ.49.90 લાખ જમા થઇ ગયાનું જણાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે નૈમિસભાઈને ફોન કરી CNC મશીન ક્યારે આવશે પૂછતાં જણાવ્યું કે, આશીષ મારો ફોન ઉપાડતા નથી અને જયદીપનો ફોન સ્વીચઓફ આવે છે. સાંજના સમયે નૈમિસભાઇનો ફોન આવ્યો કે, હું રૂબરૂ તેની દુકાન ગયો પરંતુ દુકાન બંધ હતી. બીજા દિવસે ફરીવાર સાવરીયા કોર્પોરેશન પેઢીની દુકાને ગયા તો ત્યાં દુકાન બંધ હતી જેથી સાવરીયા કોર્પોરેશન પેઢીના ત્રણેય સંચાલકો સામે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે ગુનો નોંધી આર્થીક ગુના નિવારણ શાખાના પીઆઈ રિતિકા પઢીયાર અને ટીમે વધું તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:30 pm

'ખેતીમાં ભાવ ન મળે પણ ફોર્મ ખેંચવાના 25 લાખ ઉપજે':જૂનાગઢના ગાદોઈમાં 'આપ'નું વિજય વિશ્વાસ સંમેલન, કણજાના ઉમેદવારે કહ્યું- 'જવાહરભાઈની સૂચનાથી AAPમાંથી ચૂંટણી લડુ છું'

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વંથલીના ગાદોઈ ખાતે આમ આદમી પાર્ટીના 'વિજય વિશ્વાસ સંમેલન'માં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં નેતાઓએ ભાજપમાં ચાલતા કથિત પરિવારવાદ અને ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના ખેલ પર નિશાન સાધતા ખેડૂતોની સ્થિતિ સાથે તેની સરખામણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ વ્યંગાત્મક લહેકામાં 'ખેતીમાં ભાવ ન મળે પણ ફોર્મ ખેંચવાના 25 લાખ ઉપજે' એવું નિવેદન આપી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ સાથે જ કણજા બેઠકના ઉમેદવારે પોતે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની સૂચનાથી 'આપ'માં જોડાયા હોવાનો એકરાર કરતા જૂનાગઢના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. જવાહર ચાવડાના સમર્થકો મેદાનેકણજા બેઠકના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ મંચ પરથી આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં લોકોના કામો ન થતા હોવાથી મતદારોમાં ભારે રોષ છે. તેમણે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે, “હું ગોપાલ ઈટાલિયાના સહકાર અને જવાહરભાઈ ચાવડાની સૂચનાથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છું.” ભાજપના 'મદારી ખેલ' પર પ્રહારજવાહર ચાવડાના નજીકના ગણાતા અને કોયલાણા બેઠકના મહિલા ઉમેદવારના પતિ જીવા મારડિયાએ ભાજપની રણનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કણજા બેઠકનું ઉદાહરણ આપતા ગંભીર આક્ષેપો કર્યા. પરિવારવાદનો આરોપ: ભાજપના મુખ્ય ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરાવી, ડમી તરીકે ઉભેલા તેમના જ પુત્રવધૂનું ફોર્મ માન્ય રખાયું જેથી સત્તા પરિવારમાં જ રહે. વ્યૂહાત્મક કટાક્ષ: તેમણે આ ઘટનાને 'મદારી ખેલ' ગણાવતા પ્રશ્ન કર્યો હતો કે, વર્ષો જૂની પાર્ટીના અનુભવી ઉમેદવારોના ફોર્મ રદ થાય અને નવી 'આપ'ના તમામ ફોર્મ માન્ય રહે, તે ભાજપનું સુનિયોજિત કાવતરું છે. ગોપાલ ઈટાલિયાનો 'રૂપિયાના જોરે' ફોર્મ ખેંચાવવાનો આરોપસંમેલનના અંતમાં 'આપ' નેતા ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોની સ્થિતિ અને ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને ઘઉં, ડુંગળી કે મગફળીના યોગ્ય ભાવ મળતા નથી, પરંતુ જો કોઈ ચૂંટણીમાં ફોર્મ ભરે તો તેને બેસવા માટે લાખોની ઓફર થાય છે. તેમણે કટાક્ષ કર્યો કે, ખેતીમાં ભલે વળતર ન મળે, પણ અત્યારે બજારમાં ફોર્મ પાછું ખેંચવાના ૨૫ લાખ રૂપિયા સુધીના ભાવ બોલાય છે. આ સંમેલન દ્વારા આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં ભાજપના આંતરિક અસંતોષને વટાવવાનો પ્રયાસ કર્યો છે. જવાહર ચાવડાના ટેકેદારોનું ખુલ્લેઆમ 'આપ'ના મંચ પર આવવું એ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સંમેલન બાદ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:25 pm

કેટરર્સના આપઘાત મામલે બે શખસોની ધરપકડ:વ્યાજના પૈસાની ઉઘરાણી-ધાક ધમકીથી ત્રસ્ત થઈ યુવકે જીવ ટૂંકાવ્યો હતો, હજુ પણ બે આરોપી ફરાર

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના ગોડાઉનમાં કેટરીંગનો વ્યવસાય કરતા યુવકે શખસોની વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ત્રસ્ત થઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે બે દિવસ પૂર્વે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે બે શખસોની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હજુ બે શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું. ઘરના સભ્યોને બહાર કાઢી કબજો લઈ લેવા ધમકી આપીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના દેરી રોડ પર આવેલા સાંઈ જ્યોત ફ્લેટમાં રહેતા કૃણાલભાઈ ઉમેશભાઈ માંડલીયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પીન્ટુ ચસ્કા મસ્કાવાળા, રવિ ચંદુભાઈ ખોખર, ગોપાલ અને લાલા સાટીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના ભાઈ મેહુલભાઈએ શખસો પાસેથી ધંધામાં જરુરીયાત ઉભી થતા વ્યાજે રૂપિયા લીધા હતા જેને લઈ તેની પાસે વ્યાજ તેમજ મુદલ માટે ફોન કરી ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હતા. લાલા સાટીયાએ તેના ભાઈનું એક્ટીવા સ્કુટર બળજબરીથી પડાવી લીધુ હતું તેમજ રવિ ખોખરે તેના ભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળુ મારી કબજો લઈ લેવા ધમકી આપી હતી. હજુ બે શખસ ફરારઉક્ત શખસોની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ત્રસ્ત થઈ તેના ભાઈ મેહુલભાઈને મરવા મજબુર બની ગત તા.6 એપ્રિલના રોજ સુભાષનગરમાં આવેલા તેના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઉક્ત ફરીયાદ સંદર્ભે પોલીસે તમામ સામે BNS એક્ટ 108, 308(4), 308(5), 352, 351(2), 54, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી જસવંતસિંહ ઉર્ફે પિન્ટુ રઘુભા ગોહિલ રહે. કાળીયાબીડ અને ગોપાલ કિશોરભાઈ સકોરીયા રહે. આરટીઓ સર્કલ ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હજુ બે શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:59 pm

ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કેસરીયો જેવો માહોલ:કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર માણસામાં ભાજપની રણનીતિ સફળ, ભાજપે 13 બેઠકો બિનહરિફ અંકે કરી દબદબો

ગાંધીનગર જિલ્લામાં આગામી 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા યોજાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયનો શંખનાદ ફૂંકી દીધો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લામાં ભાજપની વ્યૂહાત્મક રણનીતિ અને સંગઠનની પકડને પરિણામે કુલ 13 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના સંસદીય મતવિસ્તારમાં આવતા તેમના વતન માણસા તાલુકામાં ભાજપે વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક બેઠકો પર હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ચૂંટણી પહેલા જ ભાજપનું સંખ્યાબળ મજબૂતગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો પૈકી 3 મહત્વની બેઠકો પર મતદાન પહેલા જ ભાજપનો વિજય થયો છે. માણસા તાલુકામાં સમાવિષ્ટ સમૌ બેઠક પરથી ભરત ચૌધરી, લોદરા બેઠક પરથી કલ્પેશ પટેલ અને ચરાડા બેઠક પરથી દેવુબેન ગાભાજી ઠાકોર બિનહરિફ ચૂંટાયા છે. આ બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાનું સંખ્યાબળ મજબૂત કરી લીધું છે. જિલ્લા પંચાયતની સાથે માણસા તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી પણ 6 બેઠકો ભાજપના ફાળે બિનહરિફ રીતે આવી છે. ન.પા.ની 11 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરિફ જાહેરજેમાં ચરાડા બેઠક પર ભારતીબેન ચૌધરી, વેડા બેઠક પર શકુંતલાબેન ચૌધરી, વરસોડા બેઠક પર જાહન્વી પ્રયદર્શી, ચરાડા-2 પર રાજુબેન ડાભી, સાલૈયા બેઠક પર રમેશભાઇ ચૌધરી અને બાલવા બેઠક પર રોશનીબેન ચૌધરીનો વિજય થયો છે. એજ રીતે કલોલ નગરપાલિકામાં પણ ભાજપે પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. નગરપાલિકાની કુલ 11 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ-8માં ધર્મેન્દ્રભાઇ પટેલ, વોર્ડ-6માં ભગવતીબેન બ્રહ્મભટ્ટ, વોર્ડ-10માં જયશ્રીબેન પટેલ અને વોર્ડ-5માં ફતેસિંહ ઠાકોરે હરીફ વિના જીત મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયુંઆ 13 બિનહરિફ ઉમેદવારોમાં મહિલા સભ્યોની સંખ્યા નોંધપાત્ર રહી છે. કુલ વિજેતાઓમાં 7 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જે ભાજપની મહિલા સશક્તિકરણની નીતિને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા હવે સમગ્ર ગાંધીનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 3 સંસ્થાઓની કુલ 122 બેઠકો માટે શરૂઆતમાં 589 ફોર્મ ભરાયા હતા.જેમાંથી હવે 408 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આંકડાકીય વિગતો મુજબ જિલ્લા પંચાયતની બેઠકો પર 72 ઉમેદવારો, દહેગામ તાલુકા પંચાયત માટે 72, કલોલ તાલુકા પંચાયત માટે 48 અને માણસા તાલુકા પંચાયત માટે 57 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.નગર પાલિકાઓમાં દહેગામ ખાતે 65 અને કલોલમાં 94 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. અંતિમ દિવસે 40 ફોર્મ પરત ખેંચાયા બાદ હવે બાકી રહેલી બેઠકો પર આગામી 26મીએ મતદાન હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:54 pm

'સુહાનીના કારણે આત્મહત્યા કરું છું':પત્નીના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ રેલવે ટ્રેક પરથી મળી આવેલી યુવાનની લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ મળતા પોલીસે હવે પત્ની વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પત્ની સાથેના સતત ઝઘડાથી કંટાળીને યુવાને મોત વહાલું કર્યું હોવાનું બહાર આવ્યું છે. લગ્નના 15 દિવસમાં જ સુરત આવ્યા, પત્ની ઝઘડા કરતી હતીમળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના પ્રતાપગઢના રહેવાસી મોતીલાલ ગૌતમે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર નિખિલે તેના જ ગામની સુહાની નામની યુવતી સાથે ગત 7 મે, 2024ના રોજ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના 15 દિવસ બાદ આ નવદંપતી રોજગારી માટે સુરત આવ્યું હતું અને લિંબાયતના શાંતિનગરમાં રહેવા લાગ્યું હતું. નિખિલ અહીં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જોકે, સુખદ દાંપત્ય જીવનની આશા રાખનારા નિખિલના જીવનમાં થોડા જ સમયમાં કલેશ શરૂ થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ફોટો જોઈ ઓળખ કરીનિખિલ ગુમ થયો હોવાની જાણ થતા તેના પિતા 10 ફેબ્રુઆરીએ સુરત દોડી આવ્યા હતા. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 3 ફેબ્રુઆરીએ કતારગામ રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકનું ટ્રેન નીચે કપાઈ જવાથી મોત થયું હતું. પોલીસે જ્યારે મૃતકનો ફોટો બતાવ્યો ત્યારે મોતીલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તે તેમનો વહાલસોયો પુત્ર નિખિલ જ હતો. પોલીસે નિખિલના ખિસ્સામાંથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ જપ્ત કરી હતી. સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?નિખિલે જીવન ટૂંકાવતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પત્ની સુહાનીના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે પત્ની વારંવાર ઝઘડા કરે છે અને તેને માનસિક ટોર્ચર કરે છે, જેના કારણે તે આ અંતિમ પગલું ભરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નિખિલના માતા-પિતા જ્યારે ઓગસ્ટ 2025માં સુરત રહેવા આવ્યા હતા, ત્યારે પણ પુત્રવધૂના અસહ્ય ત્રાસને કારણે તેઓ પરત વતન ચાલ્યા ગયા હતા. પત્નીએ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતોઘટનાની વધુ વિગતો મુજબ, સુહાનીએ નિખિલ પર પ્રીતિ નામની યુવતી સાથે અફેર હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. નિખિલ ગુમ થયો ત્યારે સુહાનીએ તેના સસરાનો નંબર પણ બ્લોક કરી દીધો હતો અને કોઈ યોગ્ય જવાબ આપતી નહોતી. હાલ કતારગામ પોલીસે મોતીલાલ ગૌતમની ફરિયાદના આધારે આરોપી પત્ની સુહાની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:44 pm

ઓગષ્ટ ક્રાંતિ ટ્રેનમાં DRIના દરોડા:2 કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે નાઇજેરિયન યુવતી ઝડપાઈ, કોર્ટે 14 દિવસની જેલ કસ્ટડીનો હુકમ કર્યો

સુરત શહેરમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ની ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશન પર બાતમીના આધારે વોચ ગોઠવીને DRIની ટીમે ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક નાઇજેરિયન યુવતીને આંતરી હતી. તપાસ દરમિયાન આ યુવતીના સામાનમાંથી અંદાજે બે કિલો જેટલું હાઈ-પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા બે કરોડથી વધુ હોવાનું મનાય છે. આ યુવતીની ઓળખ ઇમ્માનુએલા તરીકે થઈ છે. મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.DRIની ટીમે આ ઓપરેશન અત્યંત સાવચેતીપૂર્વક પાર પાડ્યું હતું. અગાઉ જ્યારે એક નાઇજેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેણે ભારે ધમાલ મચાવી હતી અને તેને ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે 10થી વધુ પોલીસકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મહિલા પોલીસની સતર્કતાને કારણે યુવતીને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવીઆ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DRIની ટીમ પહેલેથી જ મહિલા પોલીસના મોટા કાફલાને સાથે રાખીને સ્ટેશન પહોંચી હતી. યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા પોલીસની સતર્કતાને કારણે તેને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાને પગલે મુસાફરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.પકડાયેલું આ ડ્રગ્સ ખાસ કરીને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું હોવાનું સામે આવ્યું છે. DRI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો? શું સુરતમાં કોઈ મોટું ડ્રગ્સ રેકેટ સક્રિય છે જે વિદેશી નાગરિકોનો ઉપયોગ કરી માલ મંગાવી રહ્યું છે? મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતાતપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી યુવતીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે સુરતના સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની અને મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:34 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:કુલ 30,332 ફોર્મમાંથી 10,023 રદ્દ, 1218 પરત ખેંચ્યા, 198 બેઠકો બિનહરીફ; 19,015 ઉમેદવારો મેદાનમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ફોર્મ પરત ખેંચવાની અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં ચિત્ર હવે લગભગ સ્પષ્ટ બની ગયું છે. મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીના આંકડાઓ બતાવે છે કે ક્યાંક બિનહરીફ જીતો મળી છે તો ક્યાંક જોરદાર મુકાબલો થવાનો છે. મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:31 pm

સુરત મનપામાં ભરતીનો વિક્રમ:2,600 જગ્યાઓ માટે સવા બે લાખથી વધુ અરજીઓનો ઘોડાપૂર; જુનિયર ક્લાર્ક માટે સૌથી વધુ 1.05 લાખ દાવેદારો વચ્ચે જંગ

સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી 2600 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયાએ સમગ્ર રાજ્યમાં રોજગારીની સ્થિતિ પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. આ ભરતીમાં અત્યાર સુધીમાં અધધ સવા બે લાખથી વધુ યુવાનોએ ઓનલાઈન અરજી કરી છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં રહેલો અદમ્ય ક્રેઝ અને સ્પર્ધાત્મક માહોલ આ આંકડા પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. મનપાના વહીવટી ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ધસારો માનવામાં આવી રહ્યો છે. એક જ કેટેગરીમાં 1.05 લાખથી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યુંવિભાગવાર વિગતો તપાસતા જાણવા મળે છે કે સૌથી વધુ સ્પર્ધા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે છે. આ એક જ કેટેગરીમાં 1.05 લાખથી વધુ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે. તેવી જ રીતે, સુરક્ષા વિભાગમાં માર્શલ માટે 27 હજાર, આરોગ્ય ક્ષેત્રે સ્ટાફ નર્સ માટે 25 હજાર અને ડ્રાઈવરની જગ્યા માટે 10 હજાર જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે સરેરાશ એક સીટ દીઠ 86 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. સર્વર પર ટેકનિકલ લોડ વધી ગયોઅરજી સ્વીકારવાની અંતિમ મુદત સુધી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે હજારો યુવાનોએ મનપાની સત્તાવાર વેબસાઈટ પર લોગ-ઈન કરતા સર્વર પર ટેકનિકલ લોડ વધી ગયો હતો. મોડી રાત સુધી પોર્ટલ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનોએ ભારે જહેમત બાદ પોતાની અરજી સબમિટ કરી હતી. લાખોની સંખ્યામાં આવેલી આ અરજીઓને કારણે મનપાની ભરતી સમિતિ પર હવે મોટી જવાબદારી આવી પડી છે. હવે પછીનો સૌથી મોટો પડકાર લાખો ઉમેદવારોની પારદર્શક પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીનો છે. આટલી વિશાળ જનસંખ્યા માટે પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવી અને સુરક્ષા જાળવવી એ મનપાના વહીવટી તંત્ર માટે કસોટી સમાન રહેશે. આગામી સમયમાં ટેકનિકલ અને બિન-ટેકનિકલ સ્ટાફની પસંદગી માટે તબક્કાવાર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, જેના પર લાખો યુવાનોની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:30 pm

ચિત્રા-સીદસર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા કોંગ્રેસ ઉમેદવારનું અપહરણ!?:કોંગ્રેસ પક્ષના વડવા-અ વોર્ડના ઉમેદવારનું અપહરણ થયાના આક્ષેપ સાથે ઉમેદવારના ભાઈની ફરિયાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં પણ ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે શહેરના ચિત્રા-સીદસર રોડ પર આવેલ બાપાસિતરામ ચોક પ્લોટ નંબર 55માં રહેતા યુવકે વડવા-અ વોર્ડમાંથી કોગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ ગતરોજ થી લાપત્તા બનતા યુવકના ભાઈએ શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા સહિત બે લોકોએ તેના ભાઈ પાસેથી બળજબરી પુર્વક ઓરીજનલ દસ્તાવેજ મેળવી દબાણ કરી ગત તા.14 ના રોજ તેના ભાઈનું અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ સાથે બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરીયાદના પગલે મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો એસપી કચેરી દોડી ગયા હતા. પ્રમુખ લાલભાએ ફરિયાદ નોંધાવીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા સીદસર રોડ પર આવેલી બાપા સિતારામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ રમેશભાઈ કાંમ્બડે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર વડવા-અ વોર્ડમાંથી કોગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ગત તા.14 એપ્રિલના રોજ ભરતભાઈ કામ્બડ પોતાના ઘરેથી પરત ન ફરતા કોગ્રેસ પક્ષના પ્રમુખ લાલભા સહિત બેએ ભરતભાઈનું અપહરણ કર્યાના આક્ષેપ સાથે ફરીયાદ નોંધાવતા ભાવનગર શહેરમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાવનગર શહેરના પાનવાડી ચોક ખારી કૂઈમાં રહેતા કોગ્રેસના વડવા-અ વોર્ડના ઉમેદવાર ભરતભાઈના ભાઈ શૈલેષભાઈ રમેશભાઈ કામ્બડે બોરતળાવ પોલીસ મથકમાં કોગ્રેસ પ્રમુખ લાલભા અને હરદેવસિંહ નામના શખસ સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, તેઓના ભાઈ ભરતભાઈને કોગ્રેસ પક્ષ તરફથી વડવા-અ સીટ પરથી ઉમેદવાર તરીકે ટીકીટ મળી હતી. પરંતુ તેઓને ચૂંટણીમાં ઉભા રહેવું ન હોય તેમ છતા ચૂંટણીમાં ઉભા રખાવી તેની પાસેથી ઓરીજિનલ દસ્તાવેજ લઈ લીધા હતા. ભરતભાઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહી ચૂંટણી લડવાનો હોય જે માટે ગત તા.14 એપ્રિલના ના રોજ સવારે 8.30 કલાકના સમય દરમિયાન તેનુ અપહરણ કરી કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જઈ ગોંધી રાખ્યા છે. દબાણપુર્વક વીડિયો ઉતારી અને જરુરી દસ્તાવેજોમાં સહીઓ કરાવી લીધાની આશંકા વ્યક્ત કરીજ્યારે તેના ભાઈને ગાયબ કરી દબાણપુર્વક વીડિયો ઉતારી લઈ તેમજ જરુરી દસ્તાવેજોમાં સહીઓ કરાવી લીધાની આશંકા જતાવી હતી. જે ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે ​શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ સામે BNS એક્ટ 140(3), 142, 54, મુજબ ગુનો દાખલ કરી ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ લાલભાની બોરતળાવ પોલીસે અટકાયત કરી તેને માઢીયા પોલીસ મથક લઈ જવાયા હોવાનું જાણવા મળ્યુ હતું. કોગ્રેસ પક્ષના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના અપહરણ બાબતે ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ લાલભાની અટકાયત થતા કોગ્રેસ પક્ષના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં જિલ્લા પોલીસવડાની કચેરીએ દોડી ગયા હતા અને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે લાલભાની અટકાયતના પગલે શ્રી કરણી સેનાના કાર્યકરો પણ એસપી કચેરી દોડી આવ્યા હતા. બનાવના પગલે રાજકિય પાર્ટીઓમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. ભરતભાઈ કામ્બડે વાઇરલ વીડિયોમાં શું કહ્યું?અત્રે ઉલેખિનય છે કે જેઓ વડવા અ વોર્ડના ઉમેદવાર ભરતભાઈ કામ્બડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ​હું ભરતભાઈ રમેશભાઈ કાંબડ, કોંગ્રેસનો ઉમેદવાર. હું મારી મેળે જ રાજીખુશીથી બહાર આવ્યો છું અને મને કોઈનું દબાણ છે નહીં. હું મારી જાતે જ આવ્યો છું અને મારી હારે કોઈ નથી, આજુબાજુમાં જુઓ. હું મારી મરજીથી આવેલો છું. આ અંગે તખ્તેશ્વર વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર પરુંલબેન ત્રિવેદી એ જણાવ્યું હતું કે, પોલીસ ખાતું ભારતીય જનતા પાર્ટીના ઈશારે નાચવાવાળું તંત્ર છે. ખોટા આક્ષેપ અપહરણના કર્યા છે. ખોટા અપહરણ કરીને ઈ બહાને એને લઈ ગયા છે. આખા ભાવનગરમાં શાંતિ ડોલવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, એવું માનું છું. આખી રાત ખરીદ-વેચાણ સંઘ હોય ને એવી રીતે આટલા રૂપિયા આપશું, આટલા લાખો રૂપિયા આપશું. આખી રાત તોડવાના પ્રયત્ન કર્યા છે. મજબૂત લોકો છે, કોઈ તૂટ્યા નથી. જે ખરેખર કોંગ્રેસને માને છે, કોંગ્રેસને વરેલા છે, એ આમાં આવ્યા નથી કોઈ. એના ઓલમાં હાર ભાળી ગઈ છે. એ કરતા તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહીશ કે ઇલેક્શનને બદલે સિલેક્શન આપી દયો એટલે તમારે આ ખરીદ-વેચાણ સંઘ કરવું નહીં, અપહરણ ગુના કરવા નહીં. ખોટી રીતે હેરાન કરવાની વાત છે. અમારા પ્રમુખ લાલભાની ધરપકડ કરવામાં આવી છે, એટલે અત્યારે તો અમે માત્ર આટલા લોકો છીએ. હમણાં ધાડેધાડા ઉતારતા જરા પણ વાર નહીં લાગે અમને. અમારી માંગણી છે કે અમારા લાલભા પ્રમુખ ને હાજર કરો. હાજર નહીં કરે ને કંઈ પણ થશે તો જવાબદારી માત્રને માત્ર પોલીસ ખાતાની રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:29 pm

અમદાવાદમાં રેપિડોચાલક પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું:ગોતા બ્રિજ ઉતરતા બાઈક ઓવરટેક કરવામાં બેલેન્સ ગુમાવ્યું, ચાલક સાથે પેસેન્જરનું પણ મોત

અમદાવાદના એસ.જી. હાઈ-વે પર ડમ્પર ચાલકોના કારણે વધતા અકસ્માતોની હારમાળામાં વધુ એક ઘટના સામે આવી છે. ગોતા બ્રિજ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતાં રેપિડો બાઈક ચાલક અને પાછળ બેઠેલા મુસાફરનું ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. બ્રિજ ઉતરતી વખતે બાઈકનું હેન્ડલ ડમ્પર સાથે અથડાતા સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. બાઈકચાલકે ડમ્પરને ઓવરટેક કરવાની ટ્રાય કરી હતીટ્રાફિક પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ થરાદના વતની અને હાલ પાલડીના કોચરબ વિસ્તારમાં રહેતા નરપતભાઈ ડાંફી રેપિડોમાં બાઈક રાઈડર તરીકે કામ કરતા હતા. આજે સાંજે તેઓ મુસાફર સુશીલ યાદવ (મૂળ રહે. યુ.પી.)ને લઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ આગળ જઈ રહેલા ડમ્પરને જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાલક અને પેસેન્જર બંનેનું ઘટનાસ્થળે જ મોતઓવરટેક કરતી વખતે બાઈકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાયું હતું, જેના કારણે નરપતભાઈએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સંતુલન બગડતા જ બાઈક ચાલક અને મુસાફર બંને સીધા ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયા હતા. ડમ્પરનું તોતિંગ વ્હીલ બંને યુવકોના શરીર પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને એસ.જી. હાઈ-વે ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરીએસ.જી. 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. વી વીંછીએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર ડમ્પરચાલક વિમલ ડોડિયાની ધરપકડ કરી છે. હાલ બંને મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બંને મૃતકો અમદાવાદ બહારના છે, જેથી તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:11 pm

ઝાલાવાડ રબારી સમાજના 45 યુગલોના સમૂહ લગ્ન યોજાયા:કોઠારીયા વજાભગતના સાનિધ્યમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો, અનેક મહાનુભાવોનું સન્માન

વઢવાણના કોઠારીયા ખાતે વજાભગતના સાનિધ્યમાં ઝાલાવાડ રબારી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રબારી સમાજના 45 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જગતગુરુ કનીરામ બાપુએ નવદંપતીઓને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં દુધઈ રામબાલકદાસ બાપુ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઝાલાવાડ રબારી સમાહ લગ્નના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 20 હજારથી વધુ રબારી સમાજના લોકોએ આ ઉત્સવમાં હાજરી આપી હતી. સમૂહ લગ્નમાં રબારી સમાજની દીકરીઓને કરિયાવરમાં એક લાખ રૂપિયાથી વધુની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત, કોઠારીયા રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળા દ્વારા રાધે રાધે જીગ્નેશ દાદાની ભવ્ય સપ્તાહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 80 હજારથી વધુ ધર્મપ્રેમીઓ કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આ સમૂહ લગ્ન પ્રસંગે રબારી સમાજના કનીરામ બાપુનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાનું પણ ભાવભર્યું સ્વાગત કરાયું હતું. સંતો, મહંતો અને અગ્રણી આગેવાનોનું પણ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:00 pm

કરોડોની મિલકત ધરાવતા કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા:સુરત મનપા ચૂંટણીમાં વોર્ડ નં. 1, 12, 18 અને 23માં પક્ષના પાયા હચમચી ગયા

સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને આંચકાજનક વળાંક જોવા મળ્યો છે. લોકશાહીના આ પર્વમાં જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ ક્ષણો ચાલી રહી હતી, ત્યારે જ કોંગ્રેસ પક્ષના પાયા હચમચી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે કે જ્યારે મુખ્ય વિરોધ પક્ષના મજબૂત અને આર્થિક રીતે સધ્ધર ગણાતા ઉમેદવારોએ એકાએક મેદાન છોડી દીધું છે. આ ઘટનાએ માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં પરંતુ સુરતના જાગૃત નાગરિકો અને રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે. ખાસ કરીને વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 01 માંથી જે રીતે કરોડપતિ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, તેણે અનેક તર્ક-વિતર્કને જન્મ આપ્યો છે. સંજયકુમાર રામાધાર રામાનંદીનું નામ અત્યારે ચર્ચાના ચગડોળે ચઢ્યું સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 એટલે કે લીંબાયત-પરવટ-કુંભારીયા વિસ્તારમાં કોંગ્રેસે જેમના પર ભરોસો મૂક્યો હતો તેવા સંજયકુમાર રામાધાર રામાનંદીનું નામ અત્યારે ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. સંજયકુમાર માત્ર એક ઉમેદવાર નહોતા, પરંતુ તેઓ પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને સામાજિક વર્ચસ્વ માટે જાણીતા હતા. 52 વર્ષની પરિપક્વ વય અને 12 પાસ સુધીનું શિક્ષણ ધરાવતા રામાનંદીએ પોતાની એફિડેવિટમાં જે મિલકત જાહેર કરી હતી તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેમની પાસે લાખોની રોકડ રકમ, બેંકોમાં મસમોટી ફિક્સ્ડ ડિપોઝિટ અને ખાસ કરીને 300 ગ્રામ સોનું જેની કિંમત આશરે 21 લાખ રૂપિયા થાય છે તે તેમની સધ્ધરતાની સાક્ષી પૂરતું હતું. તેમની પત્ની પાસે પણ 250 ગ્રામ જેટલું સોનું અને લાખોની રોકડ હોવાનું સામે આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ, તેમની પાસે રોયલ એનફીલ્ડ બુલેટથી લઈને મારૂતિ સુઝુકી બ્રેઝા અને ખેતી માટે જોન ડીયર ટ્રેક્ટર જેવા સાધનો પણ ઉપલબ્ધ હતા. જમીન મિલકતની વાત કરીએ તો કામરેજ અને વાલોડમાં તેમની કરોડોની સહ-માલિકીની ખેતીની જમીન અને સણીયા હેમાદમાં રહેણાંક પ્લોટ તથા મકાન છે. આટલી મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવાર જ્યારે ચૂંટણીના રણમેદાનમાંથી પીછેહઠ કરે ત્યારે તેની પાછળ ચોક્કસપણે કોઈ મોટું કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે. બોની પટેલ પણ કરોડોના માલિકબીજી તરફ વોર્ડ નં. 1 એટલે કે જહાંગીરપુર-કોસાડ વિસ્તારમાં પણ આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે. અહીંથી કોંગ્રેસના યુવા અને શિક્ષિત ચહેરા તરીકે ઉભરી આવેલા બોની જગદીશભાઈ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. 36 વર્ષીય બોની પટેલે વર્ષ 2010માં હાયર સેકન્ડરી શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેઓ વ્યવસાયે આધુનિક રોકાણકાર તરીકેની છબી ધરાવતા હતા. તેમની એફિડેવિટ મુજબ તેઓ શેરબજારમાં ખૂબ જ મોટું રોકાણ ધરાવે છે. 101 જેટલી નામી-અનામી કંપનીઓમાં તેમના શેરની કિંમત લાખોમાં અંકાઈ રહી છે. તેમની પત્નીના નામે પણ અનેક કંપનીઓના શેર હોવાનું બહાર આવ્યું છે. બ્રેઝા ઉપરાંત મહિન્દ્રા થાર જેવી લક્ઝરી ગાડીઓવાહનોના શોખીન બોની પટેલ પાસે મારૂતિ બ્રેઝા ઉપરાંત મહિન્દ્રા થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ છે. વરીયાવ વિસ્તારમાં બ્લોક નંબર 1024 અને 1062 હેઠળ તેમની પાસે જે ખેતીની જમીન છે તેના એક હિસ્સાની જ બજાર કિંમત આશરે 4.72 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મોરા ગામ અને ભરૂચમાં પણ તેમની સ્થાવર મિલકતો છે. આટલા સમૃદ્ધ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાતા કોંગ્રેસના સ્થાનિક સમીકરણો સાવ વિખેરાઈ ગયા છે. ભુપેન્દ્ર પટેલે આ નાનકડી ભૂલને કારણે ચૂંટણી લડવાની તક ગુમાવીમાત્ર ફોર્મ પરત ખેંચાવાની ઘટનાઓ જ કોંગ્રેસ માટે મુસીબત નથી બની, પરંતુ વોર્ડ નં. 12 માં જે રીતે ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થયું તે ઘટનાએ પક્ષની શિસ્ત અને ગંભીરતા પર પણ સવાલો ઉભા કર્યા છે. ભુપેન્દ્ર પટેલ જેવા અનુભવી વ્યક્તિ જ્યારે ઉમેદવારી ફોર્મમાં પોતાના પક્ષનું નામ લખવાનું જ ભૂલી જાય, ત્યારે તેને ટેકનિકલ ભૂલ કહેવી કે ઘોર બેદરકારી તે એક પ્રશ્ન છે. આ નાનકડી ભૂલને કારણે તેમણે ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. આમ, સુરતના જુદા જુદા વોર્ડમાં કોંગ્રેસના હાથમાંથી એક પછી એક બેઠકો સરકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રેશમા ચૌહાણે કોંગ્રેસના ધબકારા વધાર્યા હતાઆ સાથે વોર્ડ નંબર 23ના કોંગ્રેસના ઉમેદવાર રેશમા ચૌહાણ ગઈ કાલે આખી રાત કોંગ્રેસથી સંપર્ક વિહોણા બન્યા હતાં, તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી કોંગ્રેસના ધબકારા વધી ગયા હતા અને સવાર પડતા જ આ ઉમેદવાર સામે આવ્યા હતા અત્યારે કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો હતો. વિરોધ પક્ષના કરોડપતિ ઉમેદવારો પીછેહઠ કરતા રાજકીય ચર્ચાઆ સમગ્ર ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે સુરત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અથવા કોઈ અદ્રશ્ય દબાણ કામ કરી રહ્યું છે. જ્યારે ભાજપ જેવો મજબૂત પક્ષ સામે હોય ત્યારે વિરોધ પક્ષે વધુ મજબૂતાઈથી લડવાનું હોય છે, પરંતુ અહીં તો ચિત્ર સાવ ઉલટું જ જોવા મળી રહ્યું છે. જે ઉમેદવારો પાસે કરોડોની મિલકત હતી, જેઓ આર્થિક રીતે ચૂંટણી ખર્ચ ઉઠાવવા સક્ષમ હતા અને જેમની પાસે પોતાનું ચોક્કસ જનસમર્થન હતું, તેઓ જ મેદાન છોડી રહ્યા છે તે વાત કાર્યકરોમાં હતાશા પેદા કરી રહી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ખેંચતા હોય છે, પરંતુ જ્યારે મુખ્ય વિરોધ પક્ષના કરોડપતિ ઉમેદવારો આ રીતે પીછેહઠ કરે ત્યારે લોકશાહીની તંદુરસ્તી સામે પણ આંગળી ચીંધાય છે. કોંગ્રેસના નેતૃત્વ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય બન્યું કે શું?સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના આ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાવા પાછળ માત્ર વ્યક્તિગત કારણો જ જવાબદાર હોય તેવું માનવું મુશ્કેલ છે. સુરત મહાનગરપાલિકાની સત્તા જાળવી રાખવા માટે ભાજપ જે રીતે આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે, તેની સામે કોંગ્રેસના ઉમેદવારો ટકી શક્યા નથી કે પછી અંદરખાને કોઈ ગોઠવણ થઈ છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલના તબક્કે તો સુરતના રાજકારણમાં આ ફોર્મ પરત ખેંચવાની લીલાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસના નેતૃત્વ માટે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું લગભગ અશક્ય બની ગયું છે કારણ કે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થઈ ચૂકી છે. હવે જે ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે, તેમની પાસે સંસાધનોની કેટલી અછત હશે અને તેઓ કઈ રીતે સત્તાધારી પક્ષનો સામનો કરશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:57 pm

બેંક સાથે છેતરપિંડી કેસમાં CBI કોર્ટ સજા ફટકારી:યુકો બેંકના પૂર્વ અધિકારીઓ અને ખાનગી પ્રોપ્રાઈટરને 3 વર્ષની સખત કેદ અને 30 લાખનો દંડ

CBI કોર્ટ અમદાવાદ દ્વારા યુકો બેંકની ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેદમ ભગવતી પ્રસાદ, તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સોની અને મેસર્સ જાગૃતિ પ્લાસ્ટિક્સના પ્રોપ્રાઈટર જાગૃતિબેન નિમિષ પરીખને બેંક છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની સખત કેદ અને કુલ 30 લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. 6.43 કરોડની કેશ ક્રેડિટ લિમિટ છેતરપિંડીથી મંજૂર કરી હતીCBI એ 27 એપ્રિલ, 2016ના રોજ આરોપી મેદમ ભગવતી પ્રસાદ, ભાસ્કર સોની, જાગૃતિબેન પરીખ અને અન્ય વિરુદ્ધ આ ગુનો નોંધ્યો હતો. આરોપ મુજબ મેદમ ભગવતી પ્રસાદે યુકો બેંકની ચિલોડા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકેના હોદ્દા પર રહીને 17 અલગ-અલગ વ્યક્તિઓને બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 6.43 કરોડની કેશ ક્રેડિટ લિમિટ છેતરપિંડીથી મંજૂર કરી વહેંચી હતી. યુકો બેંકને મોટું નુકસાન થયું હતુંવધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર,2015 સુધીમાં ઉપરોક્ત 17 ખાતાઓમાં કુલ બાકી રકમ 3.63 લાખ હતી. મોટાભાગના લોન ખાતા NPA માં ફેરવાઈ ગયા હતા અને બાકીના ખાતાઓ NPA થવાની અણી પર હતા, જેના પરિણામે યુકો બેંકને મોટું નુકસાન થયું હતું. ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતોતપાસ પૂર્ણ થયા બાદ, સીબીઆઈએ 17 નેવેમ્બર, 2017 ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન, CBI કોર્ટે 23 નવેમ્બર, 2021ના આદેશ દ્વારા CBIને અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે બાદમાં 10 જૂન, 2022ના રોજ દાખલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:52 pm

નેચરલ ડાયમંડમાં 4.41% અને લેબગ્રોન ડાયમંડમાં 6.52%ની નિકાસ ઘટી:ચાંદીના ઘરેણાંની નિકાસમાં 59% અને પ્લેટિનમમાં 45%નો જંગી ઉછાળો, GJEPC રિપોર્ટ 2025-26

ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે વર્ષ 2025-26 મિશ્ર પ્રતિસાદ આપનારું રહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર કુદરતી હીરા જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધૂમ મચાવતા લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ ગાબડું પડ્યું છે, જે ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 5 હજાર કરોડનો ઘટાડોનેચરલ એટલે કે કુદરતી હીરાના માર્કેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024-25માં નેચરલ કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.12 લાખ કરોડ રૂપિયા હતી, જે વર્ષ 2025-26માં ઘટીને 1.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ, નેચરલ હીરાના એક્સપોર્ટમાં 4.41% નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા અને રશિયા-યુક્રેન વોરના કારણે સપ્લાય ચેઈન પર થયેલી અસરની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે. લેબગ્રોન હીરાની ચમક પણ હવે ઓછી થવા લાગીછેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં 'ગેમ ચેન્જર' ગણાતા લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટમાં પણ પ્રથમ વખત મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024-25માં લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ 10,711 કરોડ રૂપિયા હતું, જે ચાલુ વર્ષે ઘટીને 10,012 કરોડ રૂપિયા પર અટકી ગયું છે. એટલે કે તેમાં 6.52% નો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, લેબગ્રોન હીરાની વધતી જતી સપ્લાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતા ભાવોને કારણે એક્સપોર્ટ વેલ્યુમાં આ ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીનની બજારોમાં નબળી માંગની અસરભારતના હીરા ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન સૌથી મોટા બજારો છે. જોકે, આ બંને દેશોમાં હાલમાં આર્થિક સુસ્તી અને ગ્રાહકોની બદલાતી પસંદગીને કારણે હીરાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને હીરાના વિકલ્પ તરીકે હવે ગ્રાહકો અન્ય જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સુરત અને મુંબઈના નિકાસકારોએ મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે એકંદર ટર્નઓવર પર દબાણ વધ્યું છે. ગોલ્ડ જ્વેલરીમાં મિશ્ર ટ્રેન્ડ: સ્ટડેડ જ્વેલરીની માંગ વધીજ્વેલરી સેગમેન્ટની વાત કરીએ તો તેમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. પ્લેન ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 3.98% નો ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ હીરા કે રત્નો જડેલી 'સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી'ની માંગમાં 11.16% નો ઉછાળો આવ્યો છે. આ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હવે ગ્રાહકો સામાન્ય સોનાના બદલે વેલ્યુ-એડેડ અને ડિઝાઈનર જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી ઉદ્યોગ માટે ‘તારણહાર’જ્યારે હીરામાં મંદી છે, ત્યારે સિલ્વર (ચાંદી) અને પ્લેટિનમ જ્વેલરીમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. સિલ્વર જ્વેલરીના એક્સપોર્ટમાં રેકોર્ડબ્રેક 59.95% નો વધારો થયો છે, જે વધીને 13,013 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે પ્લેટિનમ જ્વેલરીના નિકાસમાં પણ 45.88% નો વધારો નોંધાયો છે. મોંઘા હીરા અને સોનાના વિકલ્પ તરીકે યુવા પેઢીમાં ચાંદી અને પ્લેટિનમના આધુનિક ઘરેણાંનું આકર્ષણ વધ્યું હોવાનું આ આંકડાઓ સાબિત કરે છે. ગ્લોબલ ડિમાન્ડ નબળી પણ નવી તકો ઊભી થશે: દિનેશ નાવડિયાઆઈડીઆઈ (IDI) ના ચેરમેન દિનેશ નાવડિયાએ આ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, 2025-26ના આંકડા સ્પષ્ટ કરે છે કે હીરા ઉદ્યોગ માટે હજુ પડકારભર્યો સમય છે. ગ્લોબલ ડિમાન્ડમાં વ્યાપક નબળાઈ છે. જોકે, સિલ્વર અને પ્લેટિનમમાં જે રીતે તેજી આવી છે, તે ઉદ્યોગ માટે નવી આશાની કિરણ છે. યુવા ગ્રાહકો હવે પરંપરાગત ઘરેણાં છોડી વિકલ્પ જ્વેલરી તરફ વળી રહ્યા છે, જે આગામી સમયમાં ગ્રોથનું મુખ્ય કારણ બનશે. ભલે વોલ્યુમ ઓછું હોય, પણ કિંમતો વધવાને કારણે એક્સપોર્ટ વેલ્યુ ટકી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:44 pm

કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની અટકાયત મુદ્દે રાજકારણ ગરમાયુ:આવતીકાલથી અચોક્કસ મુદત માટે 'ભાવનગર બંધ'ની એલાનની ચીમકી

ભાવનગર સ્થાનિક ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અને અન્ય ઉમેદવારોની પોલીસ અટકાયત તેમજ કથિત અપહરણના મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના આગેવાનોએ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરી, ન્યાય ન મળવાની સ્થિતિમાં 'અચોક્કસ મુદત માટે ભાવનગર બંધ' અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ​શું છે સમગ્ર મામલો? ​કોંગ્રેસના નેતાઓના જણાવ્યા હતું કે, જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, ​તંત્ર સામે ગંભીર આક્ષેપો કોંગ્રેસ પ્રતિનિધિમંડળે એસપીને મળીને તમામ પુરાવા અને પેનડ્રાઈવ સોંપી છે, જોકે, ત્યારબાદ ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનો અને પીઆઈ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો આક્ષેપ કરાયો છે, આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પણ રજૂઆત કરી છે, તેમણે જણાવ્યું કે હાલ આખું તંત્ર ચૂંટણી પંચના તાબા હેઠળ છે, ત્યારે વિપક્ષના ઉમેદવારોનું નૈતિક મનોબળ તોડવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ​કોંગ્રેસની મુખ્ય માંગણીઓ અને ચીમકી જો પોલીસ અને તંત્ર કાયદા મુજબ કામ નહીં કરે અને એકતરફી કાર્યવાહી ચાલુ રાખશે, તો આવતીકાલ સવારથી ભાવનગર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું એલાન અપાશે, કોંગ્રેસે ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરશે અને ભાવનગરની ચૂંટણી જ કેન્સલ કરાવવાની માંગ કરશે, કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર ચૂંટણી ન લડે તેવી અપીલ પણ કરવામાં આવી શકે છે, ​કોંગ્રેસના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, જો ભારતીય જનતા પક્ષમાં હિંમત હોય તો સીધી લડાઈ લડે, પોલીસને વચ્ચે ન રાખે. જો તેમની લોકપ્રિયતા ઘટી ગઈ હોય તો તે જાહેર કરી દેવું જોઈએ, સત્તા માટે અનીતિ આચરવાને બદલે બે વર્ષ પછી ચૂંટણી યોજવી જોઈએ, અને આગામી કલાકોમાં આ મામલે કેવા વળાંક આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:35 pm

'મહિલા ગુનાહિત માનસિકતા અને ઝનૂની સ્વભાવની, તેને દીકરીને મારી નાખી':સેશન્સ કોર્ટે માતાની જામીન અરજી ફગાવી, અમરાઈવાડીમાં અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડવાથી મોતનો મામલો

અમદાવાદના અમરાઇવાડી પોલીસ મથકે ચાલુ વર્ષે આરોપી મોનિકા મકવાણા સામે સઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. જે મુજબ તેની અઢી મહિનાની દીકરી જ્યારે માતા પાસે હતી ત્યારે પાણીની ટાંકીમાં પડી જવાથી તેનો મૃત્યુ નીપજ્યું હતું. દીકરીને બચાવવા માતાએ કોઈ કોશિશ કરી નહોતી. આ ઘટનામાં ફરિયાદી પોતે મૃતક દીકરીના પિતા અને આરોપીના પતિ છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી એવા આરોપીના પતિએ પણ વકીલ રોકીને આરોપીને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે, મહિલા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને ઝનૂની સ્વભાવની છે. તેને જાણી જોઈને દીકરીને મારી નાખી છે. તેમજ જો તેને જામીન મળે તો મોટી દીકરીને પણ મારી નાખે તેમ છે. 'પાણીની ટાંકી ઉપર તગારું મૂકીને ઢાંકી દીધી હતી, જેથી મોત થયું'મહિલાએ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ મહિલા જ્યારે પાણી ભરવા ગઈ ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તેની અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તેને ડર લાગ્યો હતો તે ઘરમાં મોટો ઝઘડો થશે, આથી તેને પાણીની ટાંકી ઉપર તગારું મૂકીને ઢાંકી દીધી હતી. જેમાં દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. આ પણ વાંચો: માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું પાણીની ટાંકીમાં પડેલી દીકરીને કાઢવા કોઈ પ્રયત્ન કર્યો નહોતોઅરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, મહિલા પોતે ડરી ગઈ હતી. આ એક અકસ્માત છે, તેને જાણી જોઈને તેને આવું કોઈ કૃત્ય કર્યું નથી. મહિલાને બીજી પુત્રી પણ છે, જે સાત વર્ષની છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે મહિલાએ પાણીની ટાંકીમાં પડેલી દીકરીને કાઢવા કોઈ પ્રયત્ન કર્યો નહોતો કે બચાવ માટે પણ કોઈની મદદ લીધી નહોતી. કોર્ટે આરોપી માતાની જામીન નકારીકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ પોતાની અઢી માસની દીકરીને બચાવવા કોઈ પ્રયત્ન કર્યો નથી કે તને કોઈ મદદ માગી નથી. એક માતા તરીકેનું આ વર્તન અમાનવીય છે. ત્યારે તેના જામીન નકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:31 pm

'મહેનત અને સેલ્ફ સ્ટડીથી સફળતા મળી':ધો.10 CBSEના તુલીપ સ્કૂલના ટોપર્સની પ્રેરણાદાયી વાતો, અનેક સ્કૂલોમાં 100% પરિણામ

CBSEનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. દેશભરમાં 25 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ગુજરાતમાં 50 હજારથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદની પણ મોટાભાગની સ્કૂલોની 100 ટકા પરિણામ આવ્યું છે. બોપલના તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 25 વિધાર્થીઓએ 90 ટકાથી વધુ પરિણામ મેળવ્યું છે. કહાની પટેલ નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા માટે બહુ તૈયારી કરી હતી. સેમ્પલ પેપર, ટીચરે લીધેલી પરીક્ષા, ઘરે તૈયારી એમ તમામ પ્રકારની મહેનત બાદ આજે સ્કૂલમાં ટોપર થઈ છું. હવે હું PCM લઈને તેમાં પણ આગળ વધીશ. મારી વીકનેસ ઈંગ્લિશમાં હતી તો તેમાં વધારે ફોકસ કર્યું હતુંમૈત્રી નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, ખૂબ જ અભ્યાસ કર્યો હતો. સ્કૂલ અને ટ્યુશનમાં વારંવાર પરીક્ષાઓ આપી હતી.બોર્ડના સેમ્પલ પેપર,સેલ્ફ સ્ટડી પર પૂરું ધ્યાન આપ્યું હતું. આગળ જઈને મારે PCM લેવું છે. મહેનત તમામ વિષયમાં જરૂરી છે. ધોરણ 10માં બધા વિષયમાં મહેનત કરવી જ પડે છે. કોઈપણ વિષય વધારાનો વિષય નથી હોતો. અત્યારે મહેનત કરીશું તો આગળ જતા સારું પરિણામ મળશે. મારી વીકનેસ ઇંગલિશ સબ્જેક્ટ હતો પણ મેં ઇંગલિશમાં સૌથી વધારે ફોકસ કર્યું અને મારે 97 માર્ક્સ આવ્યા છે. પેપરની તૈયારીમાં સેન્ટ્રલ બોર્ડની બુક્સનો જ વધારે રેફરન્સ લીધો હતોહર્ષ નામના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે મારા ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ છે. સાયન્સમાં મોસ્ટલી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વધારે ગમતું હતું. મહેનત વધારે જ કરી હતી NCERT પર આધાર હતો. રેફરન્સ બુક પર વધારે ધ્યાન આપ્યું હતું. સેન્ટ્રલ બોર્ડથી જે બુક આવી હતી તેના પર પણ વધારે ધ્યાન આપ્યું હતું. તન્મયા સાહુ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા હું મારા જૂના ઘરે બોપલ ખાતે ઇસ્કોન પ્લેટિનમ રહેતી હતી તે આગ લાગી હતી ત્યાંથી મારો બચાવ થયો હતો.આ બનાવ બાદ પણ મેં ધોરણ 10 માટે ખૂબ મહેનત કરી હતી.જે ઘટના બની તેને ભૂલીને હું ધોરણ 10 નો અભ્યાસ કરી રહી હતી. જ્યારે મને ટેન્શન હોય ત્યારે સરળ સબ્જેક્ટ વાંચી લેતી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:26 pm

યુવતીની છેડતી મામલે બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ:દહેગામના કડજોદરાના વકીલનું શંકાસ્પદ મોત થતા ભારે તંગદિલી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર

​દહેગામ તાલુકાના કડજોદરા ગામે યુવતીની છેડતી જેવી સંવેદનશીલ બાબતે આજે એક જ જ્ઞાતિના બે પરિવારો સામસામે આવી જતાં ગામમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાકડીઓ અને પથ્થરમારા સાથે થયેલી આ હિંસક અથડામણમાં બંને પક્ષના છ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઝઘડા બાદ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મોભી ચંપુસિંહ વિહતસિંહ ઝાલાનું અચાનક નિધન થતાં સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો છે. આ મામલે હાલમાં રખિયાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં યુવતીની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ અથડાણ દરમ્યાન વકીલ ચંપુસિંહ વિહતસિંહ ઝાલા નું શંકાસ્પદ મોત થયું છે . જેને લઈને મૃતક ચંપુસિંહના પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ઝઘડા દરમિયાન વિરોધી પક્ષ દ્વારા કરવામાં આવેલા ગડદાપાટુના મારના કારણે તેમનું મૃત્યુ થયું છે. હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઈનકારઆ ઘટનાની ગંભીરતાને જોતા રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ગોયલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો કડજોદરા દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે દહેગામ સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. પરંતુ પ્રાથમિક પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન ન મળતા પોલીસે હાલમાં હત્યાની કલમ ઉમેરવાનો ઈનકાર કરી દીધો છે. આ વાતને લઈને પરિવારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અને જ્યાં સુધી આરોપીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. વકીલોએ એએસપીને રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી​આ ઘટનાના પગલે વકીલ આલમમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજે મોટી સંખ્યામાં બાર એસોસિએશનના સભ્યો અને વકીલ મિત્રો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. વકીલોએ એએસપી આયુષ જૈનને રૂબરૂ રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. આ તરફ આ સમગ્ર હિંસક અથડામણમાં ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા અને તેમના કૌટુંબિક સભ્યોની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયોહાલમાં કડજોદરા ગામમાં પરિસ્થિતિ તંગ છે. સરપંચ પક્ષ અને મૃતક પક્ષ વચ્ચેના વિવાદને પગલે ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઝઘડામાં ઘવાયેલા અન્ય છ લોકોને હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 'રાયોટિંગ , કલમ 304 સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ'એક તરફ પીએમ રિપોર્ટ અને બીજી તરફ પરિવારના આક્ષેપો વચ્ચે પોલીસ અત્યારે મડાગાંઠ ઉકેલવા મથામણ કરી રહી છે. આ અંગે એએસપી આયુષ જૈને કહ્યુ કે, હાલમાં રાયોટિંગ , કલમ 304 સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. આ મામલે બંને પક્ષે ક્રોસ ફરિયાદ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:21 pm

સુરત ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશથી રીઢા આરોપીને દબોચ્યો:ટેકરી પર ઘર હોવાથી પોલીસને જોઈ ભાગી જતો રીઢો વાહનચોર 5 વર્ષે ઉમરાલી બજારમાંથી ઝડપાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી દબોચી લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન નાસતા ફરતા સ્કોડના પોલીસ જવાનોને મળેલી સચોટ બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી બજારમાંથી 21 વર્ષીય તેરસીંગ ભવાનસીંગ ભીલાલાની ધરપકડ કરવામાં આવી છે. અલગ-અલગ સ્થળોએથી ત્રણ મોટર સાયકલની ચોરી હતીમળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપી વર્ષ 2021માં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતો હતો. તે સમયે આરોપી અને તેના સાથીદારોએ સાથે મળીને 27 ફેબ્રુઆરી 2021ના રોજ ડીંડોલીના મહાદેવનગર ખાતે અલગ-અલગ સ્થળોએથી ત્રણ મોટર સાયકલની ચોરી કરી હતી. આ ચોરાયેલા વાહનોમાં 35 હજારની કિંમતનું સુઝુકી મોટર સાયકલ, 60 હજારની કિંમતનું બજાજ પલ્સર અને 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ સામેલ હતું. આશરે 1.30 લાખની કિંમતના વાહનો ચોરી કરીને આરોપીઓ પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. આરોપી પોલીસની ગાડી જોઈને ભાગ્યો હતોજોકે, તે સમયે પોલીસ દ્વારા આરોપીના રહેઠાણ પર દરોડા પાડીને ત્રણેય ચોરાયેલા વાહનો રિકવર કરી લેવામાં આવ્યા હતા, પરંતુ આરોપી તેરસીંગ પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોતાની ધરપકડ ટાળવા માટે તે સતત નાસતો ફરતો રહેતો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબ ધરપકડનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. આરોપીનું વતન મધ્યપ્રદેશના સુમનિયાવટ ગામમાં ટેકરી પર આવેલું હોવાથી, પોલીસની ગાડી કે કોઈ અજાણી વ્યક્તિ ગામમાં આવતા જ તેને દૂરથી જાણ થઈ જતી અને તે નાસી જતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ઉમરાલી બજારમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવીને ઝડપ્યોઆ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વર્ષમાં એક વાર અનાજ વેચવા માટે તેના વતન નજીકના ઉમરાલી બજારમાં આવે છે. આ ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉમરાલી બજારમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી અને જેવો આરોપી અનાજ વેચવા માટે બજારમાં પહોંચ્યો કે તુરંત જ તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:16 pm

સુરત મનપામાં BJP, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે કાંટાની ટક્કર:120 બેઠકો માટે 483 ઉમેદવારો મેદાનમાં, આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 16 ઉમેદવારોએ પોતાના નામાંકન પાછા ખેંચતા હવે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારો qવચ્ચે રાજકીય સંગ્રામ ખેલાશે. ખાસ કરીને આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે. 1059 ફોર્મમાંથી 561 રદ થતા સમીકરણો બદલાયાસુરત મનપાની ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 1059 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ટેકનિકલ કારણોસર 561 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આજે નામ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરસેવકોની પસંદગી કરશે. ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા, 135 અપક્ષો પણ મેદાનમાંરાજકીય પક્ષોના ગણિત પર નજર કરીએ તો, સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 117 અને આમ આદમી પાર્ટીએ 111 ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત 135 જેટલા અપક્ષ અને અન્ય નાના પક્ષોના ઉમેદવારો પણ મુખ્ય પક્ષોના સમીકરણો બગાડવા માટે તૈયાર છે.ઉમેદવારીપત્રોની આખરી યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે શહેરના તમામ વોર્ડમાં ડોર-ટુ-ડોર પ્રચાર અને સોશિયલ મીડિયા વોર વેગવાન બનશે. શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચની આખરી તૈયારીઓચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાના કડક પાલન સાથે પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ બૂથો પર ખાસ વોચ રાખવા અને મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ સ્તરે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:12 pm

AMTS બસ ધક્કા ગાડી બની:લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન પાસે બસ બંધ પડી જતા ટ્રાફિક જવાનો અને લોકોએ ધક્કો મારી સાઈડમાં કરવી પડી

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અને 12 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતી વર્ષોથી ભાજપનું શાસનમાં ચાલેલી એવી અમદાવાદ મહાનગરપાલિકામાં AMTS બસનો વહીવટ ખાડે ગયો હોય એવી સ્થિતિ જોવા મળી છે. શહેરના લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન પાસે AMTS બસ બંધ પડી ગઈ હતી. જેના કારણે થઈને ટ્રાફિક પોલીસ કંડકટર અને અન્ય માણસોએ ભેગા મળીને બસને ધક્કો મારવો પડ્યો હતો. કાળઝાળ 40 ડિગ્રીની ગરમીમાં બસના રોડ ઉપરથી દૂર કરવા માટે ટ્રાફિક પોલીસના જવાનો અને લોકોએ પરસેવો પાડ્યો હતો. બસમાં ટેક્નિકલ ખામી થતા રસ્તામાં જ અટકીAMTS બસની રુટ નંબર 72ની બસ નં TAM 16 લાલદરવાજા તરફ આવતી હતી તે દરમ્યાન સાંજે 5.45 pm કલાકે તિલકબાગ ટ્રાફિક સિગ્નલ પર બસ ઉભી રહી હતી. બસ ઊભી હતી ત્યારે તેમાં ટેક્નિકલ ખામી થઈ હતી. એન્જિનને ટેક્નિકલ ખામીને કારણે બસ સેલ ડિફેક્ટ થવાથી ચાલી ના શકતા પાછળ ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. તેથી પાછળ ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. રસ્તો ક્લિયર કરવા પોઇન્ટ પર હાજર ટ્રાફિક પોલીસ તેમજ બસ કન્ડક્ટર અને બીજા માણસોએ બસને ધક્કો મારી બસને આગળ એલિસબ્રીજના છેડા તરફ ગાર્ડનની સાઇડમાં લઈ જવામાં આવી હતી. બસને સાઈડમાં મુકી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જેથી ટ્રાફિક ક્લિયર થઈ ગયો હતો

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:01 pm

AI અને ડીપફેકને લઈ હાઇકોર્ટની મેટા, X, ગૂગલને નોટિસ:સૂચના આપવા છતાં URL ઉપલબ્ધ નથી કહી કન્ટેન્ટ હટાવતા નથી, અમદાવાદીની અરજી પર સુનાવણી

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ.વિ.નાયરે એડવોકેટ અમિત પંચાલ દ્વારા AI અને ડીપફેકને લઈને જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં હાઇકોર્ટે હુકમ કરતા મેટા, X, ગુગલ વગેરેને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા કહ્યું છે. તેઓને કેન્દ્ર સરકારના સહયોગ પોર્ટલ ઉપર જોડાવવા આદેશ કર્યો છે. આ અરજીમાં મૂળ મુદ્દો એ હતો કે, પ્લેટફોર્મ પ્રોવાઇડર કંપનીઓને સૂચના આપવા છત્તા કન્ટેન્ટ દૂર કરતી નથી અને મોટા ભાગે કહે છે કે URL ઉપલબ્ધ નથી. બાળકો પણ AIથી બનેલા વીડિયો જુએ છે. લોકોને પણ સમજતા સમય લાગે છે કે આ AI જનરેટેડ વિડિઓ છે. 'ઓથેન્ટિકેશનની વ્યવસ્થા ના હોય તો ફરિયાદો ધ્યાને લેવી જોઈએ'ગત સુનવણીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તેઓએ સહયોગ પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં તમામ પ્લેટફોર્મ પ્રોવાઇડર જોડાયેલા છે. તેમને વાંધાજનક AI જનરેટેડ કન્ટેન્ટ ઉતારવા માટે જણાવવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે, પ્લેટફોર્મ દ્વારા આવા વીડિયો કોઈ ઓથેન્ટિકેશન વગર મૂકી શકે નહીં, જો ઓથેન્ટિકેશનની વ્યવસ્થા ના હોય તો પ્લેટફોર્મ ઉપર આવતી ફરિયાદો ધ્યાને લેવી જોઈએ. '107 કન્ટેન્ટ દૂર કરવા કહ્યું છત્તા તે પ્લેટફોર્મ ઉપર છે'રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે, જાન્યુઆરી, 2026માં પ્લેટફોર્મ પ્રોવાઇડરને 107 કન્ટેન્ટ દૂર કરવા કહ્યું છત્તા તે પ્લેટફોર્મ ઉપર છે. વિદેશમાંથી પણ ફરિયાદના ફોન આવે છે, લોકોની ઇમેજ ખરાબ થઈ રહી છે. ડીપ ફેક વીડિયોને તો ઓળખવો અઘરો છે. 'જો પ્લેટફોર્મ પ્રોવાઇડર ના માને તો શું કરશો ?'કેન્દ્રના ગૃહ વિભાગના જણાવ્યા મુજબ, નિયમો ચાલુ વર્ષે 2026માં બન્યા છે. જેમાં ફેક વીડિયો ઉતારવા પ્લેટફોર્મને સૂચનાઓ આપવામાં આવે છે. કોર્ટે પૂછ્યું હતું કે જો પ્લેટફોર્મ પ્રોવાઇડર ના માને તો શું કરશો ? કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નિર્દેશ ઉપર ત્રણ કલાકમાં કન્ટેન્ટ હટાવવુ પડે, પહેલા આ સમય 36 કલાકનો હતો. કોર્ટે ફરી પૂછ્યું હતું કે જો તેઓ કન્ટેન્ટ ના ઉતારે તો શું ? 'ખોટું કન્ટેન્ટ ચઢાવનાર પ્લેટફોર્મ માટે શું ?'સરકારી વકીલે કહ્યું હતું કે, IT એક્ટ 66C, 66D અને 66E અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, તેના પ્રાવધાન તો ખોટું કન્ટેન્ટ ચઢાવનાર સામે છે, પણ પ્લેટફોર્મ માટે શું ? તમે શું કરી શકો ? તમે નિર્દેશ આપી શકો, પણ નિર્દેશ ન માને તો શું ? 'પ્લેટફોર્મ પ્રોવાઇડર વાંધાજનક કન્ટેન્ટ દૂર ન કરે તો સહ આરોપી બને'કેન્દ્રએ કહ્યું હતું કે, રાજ્ય વિરુદ્ધના ગુન્હાઓ માટે સખત કાર્યવાહીના પ્રાવધાન લાગુ છે, પણ પ્રાઇવેટ ફરિયાદ માટે નહીં. જો પ્લેટફોર્મ પ્રોવાઇડર AI જનરેટેડ વાંધાજનક કન્ટેન્ટ જાતે દૂર ન કરે અથવા સૂચના બાદ પણ દૂર ના કરે તો સહ આરોપી બને છે. જો કે કોર્ટે કહ્યું હતું કે આરોપ સાબિત કરવા કોર્ટ ટ્રાયલની જરૂર પડે એમાં ટાઈમ જોઈએ, એના માટેનો સમય નથી. 1000 ફરિયાદમાંથી માત્ર 14 ફરિયાદનો જ પ્લેટફોર્મ પ્રોવાઇડરે જવાબ આપ્યો હતોકોર્ટે કહ્યું હતું કે, સૂચના આપ્યા બાદ ત્રણ કલાકનો સમય કન્ટેન્ટ ઉતારવા માટે વધુ કહેવાય. તુરંત થતી હાનિ કેવી રીતે અટકાવી શકાય ? તમે જાતે પ્લેટફોર્મ ઉપરથી કન્ટેન્ટ ઉતારી શકો તેમ નથી. તુરંતના પગલા લેવા માટે શું પ્રાવધાન છે ?. રાજ્ય સરકાર વતી કહેવાયું હતું કે, એક હજાર ફરિયાદમાંથી માત્ર 14 ફરિયાદનો જ પ્લેટફોર્મ પ્રોવાઇડરે જવાબ આપ્યો હતો. વળી X સહયોગ પોર્ટલ સાથે સંકળાયેલ નથી. આથી એક યોગ્ય મિકેનિઝમ બનાવવાની જરૂર છે. સોશિયલ મીડિયા જ્યારે IT મંત્રાલય અંતર્ગત આવે છે, ત્યારે હવે કોર્ટ પ્લેટફોર્મ પ્રોવાઇડરને નિયમો પાળવા હુકમ કરી શકે છે. 'IT એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે તેની ઉપર નિયમો બનાવવા જરૂરી'અગાઉની સુનવણીમાં રજૂઆત કરાઈ હતી કે, બંધારણીય હોદ્દેદારોના પણ મોટા પાયે AI જનરેટેડ અને ડિપફેક વીડિયો તેમજ ફોટા બની રહ્યા છે. તેનાથી પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને લોકોનો વિશ્વાસ ઘટે છે. ત્યારે IT એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે તેની ઉપર નિયમો બનાવવા જરૂરી છે. ઓફિસિયલ ગેઝેટ અને નોટોફિકેશન દ્વારા આવા નિયમો બની શકે છે. 'પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ બ્લોક કરવા સૂચના આપી શકાય છે'એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AI જનરેટેડ ખોટા વીડિયોને દૂર કરવા ઓથોરિટીએ મીડીયમને જણાવવું પડે છે. વળી આવા નકલી ફોટા અને વીડિયો ખોટા IDથી ચઢાવ્યા હોય તો તેને ઓળખી કાઢવો મુશ્કેલ બને છે. IT એક્ટની કલમ 69A આ બાબતની જોગવાઈ કરે છે. જે પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપે છે. સામાન્ય રીતે દેશની સલામતી, આંતરરાષ્ટ્રી મિત્રતા, પબ્લિક ઓર્ડર વગેરેને લઈને પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ બ્લોક કરવા સૂચના આપી શકાય છે. IT એક્ટ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તેની ઉપર નિયમો બનાવી શકે છે. 'અશ્લીલ અને સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર ચઢાવે છે'અરજદારને રાજ્યના સાયબર ડિપાર્ટમેન્ટ તરફથી ઇમેઇલ મળ્યો હતો કે, જો તેઓને આવી કોઈ ફરિયાદ મળે તો તેઓ પગલા લે છે. કોર્ટે કહ્યું હતું કે, નકલી ફોટો અને વીડિયોથી વ્યક્તિને ખરાબ ચીતરવામાં આવે છે. બાળકો અને માનવતા વિરુદ્ધ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થતા થયા છે. લોકોની ઓળખી ચોરી કરવામાં આવે છે, તેમની ગોપનીયતાનો ભંગ કરવામાં આવે છે. તેમજ અશ્લીલ અને સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર ચઢાવવામાં આવે છે. પરંતુ તેને દૂર કરવાની સૂચના આપતા પ્લેટફોર્મ પ્રોવાઇડર 36 કલાકનો સમય લે છે.'સતત લાઈક્સથી પ્લેટફોર્મ ઉપરથી નીચે નથી ઉતારતા'એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AI અને ડીપફેક મામલે પ્લેટફોર્મ પ્રોવાઇડરને લઈને ચીન કડક કાયદાઓ લાવ્યું છે. જો પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ દૂર કરવા રજૂઆત કરવામાં આવે તો તેઓ જવાબ નથી આપતા. હાઇકોર્ટે કહ્યું હતું કે, પ્લેટફોર્મ પ્રોવાઇડર સમક્ષ વાંધો ઉઠાવવાથી તેઓ જવાબ આપે છે અથવા નથી પણ આપતા કારણકે તે વિવાદાસ્પદ પોસ્ટ ઉપર સતત લાઈક્સ મળતી હોય છે. જેથી તેને તેઓ પોતાના પ્લેટફોર્મ ઉપરથી નીચે ઉતારતા નથી. 'પ્લેટફોર્મને જાણ કરવા છતાં તે વીડિયોને દૂર કરાતા નથી'ગુજરાત હાઇકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગ રૂલમાં કોપીરાઇટ હોવા છતાં તેના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થાય છે, જે અંગે પ્લેટફોર્મને જાણ કરવા છતાં તે વીડિયોને દૂર કરાતા નથી. વળી આવા કેટલાય નકલી વીડિયો અને ફોટા બનતા રહે છે, જેને રોકવા ખૂબ જ અઘરા છે. તેને રિયલ ટાઈમ જ પ્લેટફોર્મ પરથી ઉતારવા પડે તો જ તેને નાથી શકાય તેમ છે. અરજદારે જણાવ્યું હતું કે, AIથી તૈયાર કરાયેલું ટ્રાયલ કોર્ટનું એવું જજમેન્ટ સમક્ષ મુકવામાં આવ્યું હતું જે હકીકતમાં અસ્તિત્વ જ ધરાવતું નહોતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:57 pm

'જૂની બંધ પડેલી પોલિસીના વ્યાજ સાથે પૈસા અપાવીશું':સુરતમાં વીમા અધિકારીની ઓળખ આપી 11 લાખ પડાવનાર ગોવાથી પકડાયા, કુરિયર અને રેપિડોની આડમાં આખું નેટવર્ક ચાલતું

સુરતમાં વીમા પોલિસીના પૈસા વ્યાજ સાથે પરત અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. વીમા કંપનીના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી નિર્દોષ નાગરિકોને વિશ્વાસમાં લઈ, ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે કુલ ₹11,03,495 પડાવી લેતી આ ટોળકીના ત્રણ સભ્યોને પોલીસે ગોવા ખાતેથી દબોચી લીધા છે. બિહાર અને દિલ્હીના વતની એવા આ શખ્સો કુરિયર અને રેપિડો ડ્રાઇવરના વ્યવસાયની આડમાં આખું નેટવર્ક ચલાવતા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક વ્યવહારોની ઊંડી તપાસ બાદ પોલીસે ગોવા અને મહારાષ્ટ્ર સુધી તપાસના તાર લંબાવી આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. વિશ્વાસ જીતીને છેતરપિંડીની માસ્ટર ગેમઆ ગેંગ સૌપ્રથમ વીમા પોલિસીધારકોનો ડેટા મેળવી એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેમની પોલિસીઓ જૂની કે બંધ પડેલી હોય. આરોપીઓ ફરિયાદીને ફોન કરી જણાવતા કે, તમારી જૂની 8 પોલિસીઓમાંથી 5 પોલિસીના પૈસા હજુ લેવાના બાકી છે. ફરિયાદીનો વિશ્વાસ જીતવા તેઓ પોલિસી એજન્ટોના નામનો પણ ઉપયોગ કરતા હતા. એકવાર ફરિયાદી લાલચમાં આવી જાય એટલે ટેક્સ, પ્રોસેસિંગ ફી અને અન્ય સરકારી ચાર્જિસના બહાને વર્ષ 2021થી 2023 દરમિયાન ટુકડે-ટુકડે લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકાજ્યારે ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ગોવાથી ત્રણ શખસોની ધરપકડ કરી છે: ગોવા અને મહારાષ્ટ્ર સુધી તપાસના તાર લંબાવ્યા સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ જટિલ ડિજિટલ નેટવર્કને ટ્રેક કરી ગોવા અને મહારાષ્ટ્ર સુધી તપાસના તાર લંબાવ્યા હતા. હાલમાં આ ત્રણ આરોપીઓને સુરત લાવવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય નાસતા ફરતા મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:56 pm

સુવિધા નહીં તો વોટ નહીં:રાજકોટના નાગેશ્વરમાં ડામર વિહોણા રસ્તાઓને લઈને સ્થાનિકોમાં પ્રચંડ રોષ, ચૂંટણીમાં 'નોટા'નો હુંકાર કરાયો

રાજકોટના જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારના રહેવાસીઓએ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગઈકાલે સાંજે તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારને રાજકોટ મહાપાલિકામાં ભળ્યે 6 વર્ષ જેટલો સમય વીતવા છતાં રસ્તા, સફાઈ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને મત આપવાને બદલે 'નોટા' (NOTA) નું બટન દબાવવાનું એલાન કર્યું છે. રહેવાસીઓનો મુખ્ય આક્ષેપ છે કે નાગેશ્વર અને શાંતિનગર માટે ડામર રોડની ગ્રાન્ટ સાથે મંજૂર થઈ હોવા છતાં માત્ર શાંતિનગરમાં જ રોડ બનાવવામાં આવ્યો છે. કોર્પોરેટરો આચારસંહિતાનું બહાનું કાઢી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કામ લાંબા સમયથી અટકેલું છે. આ ઉપરાંત વિસ્તારમાં મેઈન રોડ પરના દબાણો, અપૂરતું પાણી, અનિયમિત સફાઈ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની નબળી કામગીરીથી લોકો ત્રસ્ત છે. નાગેશ્વરના લોકોએ સુરક્ષા માટે પોલીસ ચોકી, શાકભાજી વિક્રેતાઓ માટે હોકર્સ ઝોન, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને બાળકો માટે ગાર્ડન જેવી પાયાની માંગણીઓ પણ દોહરાવી છે. ધારાસભ્ય અને કોર્પોરેટરોની ઉદાસીનતા સામે નારાજગી દર્શાવતા લોકોએ ચીમકી આપી છે કે જો સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એરપોર્ટ ફાટક નજીક મારૂતિનગર પાસે એક્ટિવા બળીને ખાખ, સદનસીબે જાનહાની ટળી રાજકોટનાં એરપોર્ટ ફાટક નજીક મારૂતિનગર પાસે એક એક્ટિવા બળીને ખાખ થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. આજે બપોરના અરસામાં શહેરના વોર્ડ નં.2 એરપોર્ટ રોડ, મારુતિ નગર શેરી નં.4, RMCના ગાર્ડન પાસે પડેલ એક એક્ટિવમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાની સાથે કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી મીની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ફાયરની ટીમ દ્વારા ગાડી પર પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી તેમજ નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ, મતગણતરી કેન્દ્રો પર 14 ટેબલની વ્યવસ્થા રાજકોટ મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 રવિવારના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી પંચની સૂચના મુજબ, મતગણતરી કેન્દ્રના હોલમાં વધુમાં વધુ 14 ટેબલ રાખવામાં આવશે, જ્યાં દરેક ટેબલ પર 3 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે. કોર્પોરેશનના 18 વોર્ડ માટે 6 ગણતરી કેન્દ્રો નિયત કરાયા છે. જેમાં વોર્ડ 1થી 3 માટે પાંધી કોલેજ, 4થી 6 માટે ચૌધરી હાઈસ્કૂલ, 7થી 9 માટે વિરાણી હાઈસ્કૂલ, 10થી 12 માટે એવીપીટી કોલેજ, 13થી 15 માટે જસાણી હાઈસ્કૂલ અને 16થી 18 માટે રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. 28 મંગળવારના રોજ સવારથી મતગણતરી હાથ ધરાશે. મતદાન દરમિયાન બુથ પર વીડિયોગ્રાફી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જેમાં રાજકોટ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 6 બેઠકોની ગણતરી ભાવનગર રોડ પરની સરકારી પોલીટેકનીક ખાતે થશે, જ્યારે પડધરી, લોધીકા અને કોટડાસાંગાણીની ગણતરી સરકારી કોલેજ પડધરી ખાતે યોજાશે. તમામ કેન્દ્રોને જાળી અને બેરીગેટથી સજ્જ કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકવા ભારત મધ્યસ્થી કરે તેવી રાજકોટ ચેમ્બરની વડાપ્રધાનને રજૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરીને પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા ભારતને મધ્યસ્થી બનવા અપીલ કરી છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ તનાવપૂર્ણ સ્થિતિ વેપાર-ઉદ્યોગ અને માનવ જીવન માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. જો આ યુદ્ધ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ગેસ અને ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટી અડચણો ઉભી થશે, જેના કારણે ભાવ આસમાને પહોંચશે અને મોંઘવારી બેકાબુ બનવાની ભીતિ છે.રાજકોટ ચેમ્બરે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં શાંતિપ્રિય દેશની છાપ ધરાવે છે અને તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારત આ મામલે મધ્યસ્થી કરીને વિશ્વ અને ખાડી દેશોને થનારા પારાવાર નુકસાનથી બચાવી શકે તેમ છે. વર્લ્ડવોર જેવી પરિસ્થિતિને ટાળવા અને આર્થિક પાયમાલી રોકવા માટે ભારત સરકારે તાત્કાલિક અસરથી હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:55 pm

Editor's View: હોર્મુઝની હઠાગ્રહ ને ટ્રમ્પને યુરોપિયન ચમાટ:EU નવું નાટો બનાવશે? ઈરાન-અમેરિકાની નાકાબંધી વચ્ચે યુરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે; પેટ્રોલ ભડકે બળી શકે

ટ્રમ્પની મનમાની, ધમકીઓ અને તરંગી મિજાજના કારણે અમેરિકાની યુરોપ સાથેની 80 વર્ષ જૂની દોસ્તી પર લાલ લીટો લાગી ગયો છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે બંને દેશોએ તેલ-ગેસની ગ્લોબલ સપ્લાય રોકવા નાકાબંદી કરીને જહાજોના થપ્પા લગાવી દીધા છે. એક વાત સીધી અને સિમ્પલ છે કે અમેરિકા પોતાનો પાવર દેખાડવા લડે છે પણ યુદ્ધમાં યુરોપ માટે હવે અસ્તિત્વનો સવાલ આવી ગયો છે. કારણ કે અમેરિકા એનર્જીમાં આત્મનિર્ભર છે, યુરોપને તો બધુ બીજા દેશો પાસેથી મગાવવું પડે છે. એવામાં ટ્રમ્પ નાટોને કાગળનો વાઘ કહે ને ગ્રીનલેન્ડ ઝૂંટવી લેવાની વાત કરે તો યુરોપનો ભરોસો ડગે એ સ્વાભાવિક છે. માટે હવે યુરોપને પોતાના મોટાભાઈથી મોં ફેરવીને પોતાનું નેટો બનાવવાના અખતરા કર્યા છે જેથી તે પોતાની રક્ષા જાતે કરી શકે ને કોઈની ગરજે ન જીવે. આપણે પણ આ જાણવું જરૂરી છે કારણ કે હોર્મુઝમાં ભારતીય જહાજો મધદરિયે ઝોલા ખાઈ રહ્યા છે. વાત કરીએ યુદ્ધ અને યુરોપના નવા નાટોની... નમસ્કાર... આજની તારીખે અમેરિકા અને ઈરાને હોર્મુઝના દરિયા વિસ્તારમાં જહાજો ગોઠવીને નાકાબંધી કરી છે. આ ઘટનાએ તેલના ભાવ પણ ભડકાવ્યા છે અને યુરોપને સદબુદ્ધિ પણ આપી છે. યુરોપે અગાઉ અમેરિકાને બીટવીન ધ લાઈન્સ ચોખ્ખું પરખાવી દીધું છે કે બસ હવે તમારી જોહુકમી નહીં ચલાવી લેવાય. અમેં અમારું ઘર એટલે કે નવું નાટો જાતે વસાવીશું. આવું કેમ થયું તે જાણવું અને સમજવું બહું જરૂરી છે કારણ કે અમેરિકા એનર્જી એટલે કે તેલ-ગેસ બીજા દેશોને વેચે છે. સામેની બાજુ યુરોપને બીજા દેશો પાસેથી રૂપિયા આપીને ઊર્જા લેવી પડે છે. હોર્મુઝમાં હઠાગ્રહઃ અમેરિકા-ઈરાન સામસામે યુદ્ધની લેટેસ્ટ ઈન્ફોર્મેશનની વાત કરીએ તો યુએસના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમના એડમિરલ બ્રાડ કૂપરે કન્ફર્મ કર્યું છે કે હોર્મુઝ નાકાબંધીના ઓપરેશનમાં 10 હજારથી વધુ સૈનિકો અને 15 હજારથી વધુ એડવાન્સ લડાકુ જહાજો હોર્મુઝ માટે તૈયાર છે. અમેરિકાના આ હઠાગ્રહ પાછળ માત્ર ઈરાન સાથેનો વિવાદ નથી, પણ ચીનને આર્થિક રીતે પાયમાલ કરવાની એક મોટી ગ્લોબલ ગેમ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કારાકાસ એટલે કે વેનેઝુએલાથી લઈને હોર્મુઝ અને મલાક્કાના જલડમરું સુધી એક એવી જાળ બિછાવી રહ્યું છે જે ચીનનો તેલ પુરવઠો ગૂંગળાવી નાખે. અમેરિકા આ મુખ્ય દરિયાઈ માર્ગો પર કન્ટ્રોલ કરીને ચીનની આર્થિક કરોડરજ્જુ તોડવા માંગે છે. હોર્મુઝમાં હિલચાલ ને મરશિયા સમાન શાંતિ પણ ચીન કરતાં યુરોપ માટે આ સ્થિતિ વધુ ભયાનક છે, કારણ કે અમેરિકાની આ ચાઈના સ્ટ્રેટેજીમાં યુરોપના પોતાના બિઝનેસ ઈન્ટ્રેસ્ટ અને એનર્જી સિક્યોરિટી હોમાઈ રહ્યા છે. આ જ કારણ છે કે યુરોપ હવે અમેરિકાના આ ગ્લોબલ એનર્જી વોરનો હિસ્સો બનવાને બદલે અલગ રસ્તા પર નીકળી પડ્યું છે. જે વિસ્તારમાંથી એક સમયે રોજ અનેક જહાજ નીકળતા હતા તે હોર્મુઝમાં આજની તારીખે મરશિયા ગવાય એવી શાંતિ છે. અમુક જહાજો જેની હિલચાલની જાણકારીઓ સામે આવી છે તેની વાત કરીએ તો... ચીની જહાજની પકડમ-પકડી રિચ સ્ટારી નામનું મિથેનોલ ભરેલું ટેન્કર અમેરિકાની નાકાબંધી તોડીને હોર્મુઝ જવાની ટ્રાય કરતું હતું પણ પકડાઈ જતાં તેને વિસ્તાર છોડવો પડ્યો છે. એલિસિયા નામનું મસમોટું જહાજ 2 મિલિયન બેરલ તેલ લોડ કરવા ઈરાક બાજુ જવાનું હતું પણ પહોંચ્યું કે નહીં તેની કોઈ માહિતી નથી. વિયેતનામ માટે તેલ લઈ જતું એગિઓસ ફેનૌરિયોસ નામના ટેન્કરને પણ હોર્મુઝમાં ન જવા દેવાયું. ગઈકાલે અમેરિકન જહાજોએ અનેક ઈરાની જહાજોને ચાબહાર પાસેથી જતા રોકી દીધા હતા. દુનિયા અમેરિકાને યુદ્ધ કરતા રોકે તે માટે ઈરાને હોર્મુઝ પર કબજો જમાવ્યો જેથી ગ્લોબલ એનર્જી સપ્લાય ચેઈન અટકે પણ હવે ગેમ બદલાઈ ગઈ છે. અમેરિકાએ પણ હોર્મુઝ બહાર બ્લોકેજ કર્યું છે અને ઈરાનથી આવતા જહાજોને રોકે છે. એટલે હવે ઈરાન પણ બરોબરનું ભીંસમાં આવ્યું છે. જો નાકાબંધીનો અહમ લાંબો ચાલશે તો ઈરાન કોઈને પણ તેલ નહીં વેચી શકે અને બની શકે કે સૌથી ખરાબ પરિસ્થિતિને ધ્યાને લઈએ તો પાયમાલ પણ થઈ શકે. ટ્રમ્પને હોર્મુઝ ખોલવામાં મદદની યુરોપની ‘ના’ આ બધી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે યુરોપ દાયકાઓથી અમેરિકાના દરેક સૈન્ય અભિયાનો પડખે નાના ભાઈની જેમ ઉભું હોય છે પણ હોર્મુઝ ડબલ બ્લોકેજમાં તે અમેરિકા સાથે નથી. લેટેસ્ટ ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ ફ્રાન્સ, જર્મની અને યુકેએ અમેરિકાના બ્લોકેજમાં જોડાવાની ના પાડી દીધી છે. આના ત્રણ કારણો છે. અમેરિકા આજે તેલ અને કેસના નેટ એક્સપોર્ટર દેશમાનું એક છે. એટલે કે જો હોર્મુઝ બંધ થાય તો અમેરિકાને ડોલરમાં ફાયદો થઈ શકે છે કારણ કે તેલના ભાવ વધશે. પણ યુરોપ તેની 70 ટકા એનર્જીની જરૂરિયાત ઈમ્પોર્ટ કરે છે. એટલે બીજા દેશ પાસેથી ખરીદીને લે છે. યુરોપ માટે હોર્મુઝ બંધ થવું એટલે ફેક્ટરીઓ પર તાળા લાગવા. અમેરિકા ઈરાનમાં સત્તા પલટવા મથે છે પણ યુરોપને ખાલી ધંધા અને શાંતિમાં જ રસ છે. ત્રીજો મોટો મુદ્દો છે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલિસી. ટ્રમ્પે નાટોમાંથી હટી જવાની ધમકી અને નાટોને કાગળનો વાઘ કર્યો છે ત્યારથી યુરોપને અમેરિકા પર સોઈની અણિ જેટલો પણ ભરોસો નથી રહ્યો. યુરોપને બનવું પડશે આત્મનિર્ભર અત્યાર સુધી તો અમેરિકા યુરોપનું સિક્યોરિટી ગાર્ડ હતું પણ હવે તે રિસાઈને બેઠું છે. માટે હવે યુરોપ પાસે રસ્તો છે પોતાની સુરક્ષા જાતે જ કરવી. હાલ યુરોપિયન દેશો અમેરિકાની મદદ વગર હોર્મુઝમાં પોતાના જહાજો કઢાવવા માટે મથામણા કરી રહ્યાં છે. હોર્મુઝના કારણે યુરોપને પડેલા ફટકાની વાત કરીએ તો... બ્રેન્ટ ક્રુડ, જેટ ફ્યૂઅલ, નેચરલ ગેસ અને યુરિયા ખાતરના ભાવ આસમાને પહોંચતા ભીંસમાં છે. યુરોપમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ, એરલાઈન, ઈન્ડસ્ટ્રી, ખેતી અને ખોરાક વગેરે બધી જ વસ્તુઓમાં મોંઘવારીનો માર પડવા લાગ્યો છે. યુરોપિયન દેશોએ પાણીની જેમ પૈસા વેર્યાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલાનું કહેવું છે કે છેલ્લા 44 દિવસમાં યુરોપે એનર્જી માટે 22 અબજ યુરો ચૂકવ્યા છે. આ બોજો ખૂબ જ મોટો છે માટે યુરોપે હવે અમેરિકા વગર એકલા હાથે પોતાનો રસ્તો શોધવાનો છે. નાટોમાં તિરાડ પણ હોર્મુઝના કારણે નથી પડી, તેની પાછળ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ છે જે આપણે બધા જ જાણીએ છીએ. ટ્રમ્પે ડેનમાર્કને ગ્રીનલેન્ડ આપી દેવા ધમકાવ્યું તો યુરોપ વિચારમાં પડી ગયું હતું કે અમેરિકા દોસ્ત છે કે દુશ્મન? આવી પરિસ્થિતિમાં પાછળ જોવું મુશ્કેલ છે માટે યુરોપને હવે આગળ વધવાનો જ ઓપ્શન બચ્યો છે. માટે મોટાભાઈ સામે નાના ભાઈએ બાંયો ચઢાવીને બગાવત કરી છે. નાટોની નર્વસ સિસ્ટમ પર કુહાડી આ દાવો આપણે નથી કરી રહ્યા પણ વોલ સ્ટ્રીટ જર્નલનું કહેવું છે કે યુરોપિયન દેશો હવે નાટોની અંદર જ એક એવું સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છે જે નાટો જેવું જ છે પણ તેમાં કર્તાધર્તા યુરોપ છે. અત્યાર સુધી નાટોની નર્વસ સિસ્ટમ એટલે કે ઈન્ટેલિજન્સ, લોજિસ્ટિક્સ વગેરે અમેરિકા સંભાળતું હતું પણ તેણે ઉંચા હાથ કરી દેતા યુરોપની સેનામાં બ્રેન ડેડ થયું છે. ભૂલ સમજતા યુરોપે હવે પોતાની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ડેવલોપ કરવાનું શરૂ કર્યું છે. આ સિસ્ટમમાં ત્રણ મહત્વની વાત છે. 1) મિલિટરી પ્લાનિંગ એન્ડ કન્ડક્ટ કેપેબિલિટી2) રેપિડ ડિપ્લોયમેન્ટ કેપેબિલિટી3) સેટેલાઈટ અને ઈન્ટેલિજન્સ ઓટોનોમી સુરક્ષા માટે જાત મહેનત જિંદાબાદMPCC યુરોપિયન યુનિયનના ઓપરેશન હેડક્વાર્ટર તરીકે બનાવવાનું છે. આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આ સેન્ટરમાં 2,500 જેટલા સૈનિકો માટે મિશન અને પ્લાનિંગ આપવા તૈયાર કરી દેવાશે. RDC પ્લાનિંગમાં યુરોપ 5 હજાર સૈનિકોની એક ટુકડી બનાવી રહ્યું છે જે ક્વિક રિસ્પોન્સ આપી શકે. નોટ કરવા જેવી વાત અહીં એ છે કે આ અમેરિકાની પરમિશન વગર નિર્ણય લેશે અને ગમે ત્યાં તહેનાત કરી શકાશે. ત્રીજો પાર્ટ રશિયા-અમેરિકા કે ઈરાન જેવા દેશો પર નજર રાખવા જાસૂસી નેટવર્ક તૈયાર કરશે. આવું શક્ય બનાવવા માટે યુરોપ હવે પોતાનું સેટેલાઈટ નેટવર્ક બનાવવા માટે પણ ફંડ મેળવી રહ્યું છે જેથી તે ડિજિટલ જમાનામાં આંધળું ન બની જાય. ડિફેન્સ માટે યુરોપનો અધધ ખર્ચોલેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ આંકડાઓ કહે છે કે યુરોપિયન દેશોએ પોતાના ડિફેન્સ બજેટમાં એટલો વધારો કર્યો છે જેટલો બીજા વર્લ્ડ વોર પછી ક્યારેય યુરોપે નથી કર્યો. 2025માં યુરોપિયન યુનિયનનું કૂલ ડિફેન્સ બજેટ 381 અબજ યુરોએ પહોંચ્યું હતું જે વર્ષ 2020ની કમ્પેરિઝનમાં 63 ટકા વધુ છે. જર્મનીએ GDPના 3.2 ટકા, ફ્રાન્સે 2.25 ટકા, પોલેન્ડે 4.48 ટકા, નેધરલેન્ડે 2.2 ટકા જેટલો ખર્ચો કર્યો છે. જોવા જેવી વાત તો એ છે કે પોલેન્ડ અને જર્મની અત્યારે યુરોપની નવી મિલિટરી મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેના બજેટનો મોટો ભાગ રશિયા સામેના ખતરાને જોતા ખર્ચવા અને વધારવામાં આવી રહ્યો છે. યુરોપ સામે સૌથી મોટો ખતરો રશિયાની 3,460 ટેન્ક્સ સામે પોતાની શક્તિ વધારવાનો છે. 2026ના લેટેસ્ટ ડેટા કહે છે કે યુરોપિયન દેશોએ પોતાની ટેન્ક ખરીદવાની કેપેસિટીમાં પણ ધરખમ વધારો અને સુધારો કર્યો છે. ડિફેન્સમાં યુરોપ દુનિયામાં કેટલા નંબરે? તુર્કી પાસે 2,381, ગ્રીસ પાસે 1,385, પોલેન્ડ પાસે 897 અને જર્મની પાસે 313 જેટલા ટેકન્સ આજની તારીખે હાજર છે. પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે યુરોપ પાસે મિલિટરી સાધનોનું ફ્રેગમેન્ટેશન ઘણું વધારે છે. અમેરિકા પાસે જેટલી વેરાયટી છે તેના કરતા યુરોપ પાસે ચાર ગણી વધુ ડિફેન્સ ડાયવર્સિટી છે. જે યુદ્ધ સમયે યુરોપના દુશ્મન દેશોના શ્વાસ અધ્ધર કરી શકે તેમ છે. એટલે યુરોપ હવે યુરોપિયન ડિફેન્સ મેકેનિઝમથી હથિયારોના સ્ટાન્ડર્ડીઝેશન પર ભાર મૂકી રહ્યું છે. યુરોપ માથેથી અમેરિકાની ન્યૂક્લિયર છત્રી છૂટી ન્યૂક્લિયર શક્તિની વાત કરીએ તો અત્યાર સુધી યુરોપ અમેરિકાની ન્યૂક્લિયર અમ્બ્રેલા નીચે મોજથી રહેતું હતું પણ ટ્રમ્પની વિદેશ નીતિઓના કારણે આજે પરિસ્થિતિઓ બદલાઈ છે. ટ્રમ્પના તરંગી સ્વભાવના કારણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાના ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ પૂરા યુરોપ માટે કરવા હામી ભરી દીધી છે. આ મામલે જર્મની અને ફ્રાન્સ વચ્ચે પણ સિક્રેટ મિટિંગ્સ તેજ થઈ છે. જો આ સફળ થઈ જાય તો યુરોપ પોતાની ન્યૂક્લિયર સિક્યોરિટીમાં પણ અમેરિકા પર નિર્ભર નહીં રહે. જો કે આ યુરોપ માટે અગ્નિપથ છે. હોર્મુઝમાં યુરોપ ઓફેન્સિવ નહીં ડિફેન્સિવ જોકે યુરોપિયન નેતાઓએ એક વાત દુનિયા સામે મૂકી છે કે તેમની હોર્મુઝ એક્શન અમેરિકા જેવી આક્રામક નહીં પણ ડિફેન્સિવ હશે. આના ઉપરથી બીટવીન ધ લાઈન્સ સમજી શકાય કે અમેરિકા ઈરાનના બંદરોને બ્લોક કરી રહ્યું છે ત્યારે યુરોપ એવો રસ્તો શોધી રહ્યું છે જેમાં તે ન્યૂટ્રલ ગ્રાઉન્ડ પર રહીને પોતાના તેલના ટેન્કર્સ હોર્મુઝ વિસ્તારમાંથી કોઈ પણ નુકસાન થયા વગર લઈ આવે. રિપોર્ટ્સ મુજબ આ મિશન માટે ઓપરેશન એસ્પાઈડ્સના મોડલને ફોલો કરવામાં આવશે જેમાં યુરોપિયન જહાજો અમેરિકન કમાન્ડ નીચે કામ કરવાના બદલે પોતાના ઈન્ડિપેન્ડેન્ટ કમાન્ડ નીચે રહેશે. આનું કારણ એટલું જ છે કે જો યુરોપ અમેરિકા સાથે જોડાય તો ઈરાની મિસાઈલ્સનો ટાર્ગેટ યુરોપિયન જહાજો પણ બની શકે. એટલે યુરોપને હવે મેક યુરોપ ગ્રેટ અગેઈન સિવાય કોઈ છૂટકો જ નથી ભલે પછી તેમાં 10 વર્ષ પણ લાગી જાય. પેક્સ અમેરિકાનું પડીકું વળ્યું એક શબ્દ છે પેક્સ અમેરિકાના... જેનો મતલબ છે બીજા વિશ્વ યુદ્ધ પછીના 80 વર્ષ સુધી દુનિયા અમેરિકાના એકલા હાથ નીચે કે સત્તામાં રહી. પણ હોર્મુઝની હઠાગ્રહે આ યુગનો પણ ખાત્મો બોલાવી દીધો છે. આજે દુનિયા અમેરિકા, યુરોપ, રશિયા-ચીન વગેરે ધરીઓમાં વહેંચાઈ ગઈ છે. રશિયા સામે સેકન્ડ વર્લ્ડ વોર પછી નાટો બન્યું હતું તે નબળું પડ્યું છે અને રશિયાને મોઢું ખોલતા પતાસું મળી ગયું છે. જો અમેરિકા યુરોપમાંથી પોતાના હજારો સૈનિકોને પણ પાછા બોલાવી લે તો રશિયન એગ્રેશન યુક્રેન જેવા દેશો પર બની શકે કે આવે નહીં અને રશિયા-યુક્રેન યુદ્ધ પણ ન થયું હોત. ખેર, જે રીતે પોલેન્ડ અને જર્મની પોતાનું ડિફેન્સ વધારી રહ્યું છે તે જોતા રશિયા માટે આ રસ્તો પણ સાવ એટલો સહેલો નથી. નવા નાટો માટે બધા યુરોપિયન દેશો મંડાશે? કારણ કે તેમના જોશ સામે હકિકતમાં પહાડ જેવા પડકારો સામે ઉભા છે. યુરોપ પાસે મિલિટરી સેટેલાઈટ અને હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની કમી છે. જે ઉભું કરતા તેમને દાયકાઓ લાગી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે યુરોપ 27 દેશોનો એક સંઘ છે. બધાના નિર્ણયો એકસરખા નથી હોતા. હંગેરી જેવા દેશો પણ છે જે રશિયા તરફી વલણ ધરાવે છે. રિપોર્ટ્સ મુજબ યુરોપિયન દેશો આવનાર સમયમાં પોતાની જીડીપીના 4 ટકા જેટલું ડિફેન્સ બજેટ ફાળવશે. જો આવું કરવામાં આવે તો શિક્ષણ કે હેલ્થ જેવા બજેટમાં જે તે દેશને કાપ મૂકવો પડી શકે છે. આવું કરવા પર નાગરિકો પણ રિસાઈ શકે છે. જો કે અમેરિકાને નાટોમાંથી બહાર નીકળવું હોય તો તેમને પોતાની સેનેટમાં બે તૃત્યાંશની બહુમતિ જોઈએ, પણ જો ટ્રમ્પ માત્ર સૈનિકો પાછા ખેંચી લે તો કાગળ પર નાટો હોવા છતાં તેની કોઈ કિંમત જ નહીં રહે. ચીન અને યુરોપ બનશે જય-વીરુ બીજી બાજુ ચીનને મોકો મળી ગયો છે કે હોર્મુઝની નાકાબંધીના કારણે અમેરિકાને બેજવાબદાર ગણાવી શકે. ચીને યુરોપને પણ એવો અહેસાસ અપાવવાનું શરૂ કરી દીધું છે કે અમેરિકા નહીં અમેં તમારી બાજુ છીએ અને એટલા માટે જ આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ચીનમાં યુરોપના નેતાઓએ વિદેશ યાત્રાનો મારો ચલાવ્યો હતો. ઈરાનના યુદ્ધે અને ખાસ તો ટ્રમ્પે યુરોપને ચીન નજીક લાવીને ઉભું કરી દીધું છે. પણ આપણા માટે આ ડિપ્લોમેટિક લેસન પણ છે, કારણ કે આજની તારીખે પણ હોર્મુઝ વિસ્તારમાં આપણા જહાજો ફસાયેલા છે. જો આવું ને આવું ચાલતું રહેશે તો ક્રુડ ઓઈલના ભાવ વધતા જશે અને તેનાથી ભારતને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. આપણી વિદેશનીતિ મલ્ટી એલાઈન્ટમેન્ટ છે. અત્યારે આપણી સામે ચેલેન્જ એ છે કે અમેરિકાના નાકાબંધીના નિર્ણયનો ટેકો આપવો કે યુરોપને બરોબર ઠેરવવું? આ પરિસ્થિતિમાં ભારતીય નૌકાદળ હવે અરબ સાગરમાં વધુ એક્ટિવ થયું છે. અને છેલ્લે… ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનની થિયરી કહે છે કે માણસના પૂર્વજો ચિમ્પાન્ઝી હતી. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જેમ માણસોમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેમ યુગાન્ડાના જંગલોમાં ચિમ્પાન્ઝીઓમાં પણ લગભગ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી ભયાનક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આઈરની એ છે કે ચિમ્પાન્ઝી વોરથી એક્સપર્ટ્સ એ મૂળ શોધી રહ્યા છે કે માણસોમાં કેવી રીતે યુદ્ધની શરૂઆત થઈ હતી. તે ચિમ્પાન્ઝીમાંથી માણસ બનવાની વાત છે પણ અત્યારે પણ એ જ માણસો એકબીજા પર મિસાઈલ્સના મારા ચલાવી રહ્યા છે. સોમવારથી શુક્રવાર, રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પમાર)

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:55 pm

તાપીમાં ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ:વ્યારા નગરપાલિકાની 9, નિઝર તાલુકા પંચાયતની 1 બેઠક પર વિજય

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીએ 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. જિલ્લા સંગઠન પ્રભારી ડો. જગદીશ પટેલે આ અંગે મીડિયાને સત્તાવાર માહિતી આપી હતી. વ્યારા નગરપાલિકામાં ભાજપના 9 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આમાં વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 5ની તમામ 8 બેઠકોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, વોર્ડ નંબર 2ની એક બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. નિઝર તાલુકા પંચાયતની એક બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, તાપી જિલ્લો અગાઉ કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો હતો, પરંતુ હવે મતદારો અને કાર્યકરોનો ઝુકાવ ભાજપ તરફ વધ્યો છે. 10 બેઠકો બિનહરીફ થવી એ ભાજપ માટે સકારાત્મક સંકેત છે. આ બિનહરીફ જીત સાથે ભાજપે ચૂંટણી પહેલા જ મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે. આગામી દિવસોમાં બાકી રહેલી બેઠકો પર રસાકસીભર્યો જંગ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:42 pm

પોરબંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અંતિમ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ:મનપામાં 52 બેઠકોમાંથી 11 બેઠકો અને જિલ્લા પંચાયતમાં 8 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ

પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. અનેક બેઠકો બિનહરીફ જાહેર થતાં, બાકીની બેઠકો પર રાજકીય પક્ષો વચ્ચે સીધો જંગ જોવા મળશે. પોરબંદર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ થઈ છે. હવે 41 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ બેઠકો પર ભાજપના 41, કોંગ્રેસના 31 અને આમ આદમી પાર્ટીના 29 ઉમેદવારો મેદાનમાં છે. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતાં, 16 બેઠકો પર મતદાન થશે. તાલુકા પંચાયતોમાં પણ કેટલીક બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે. પોરબંદર તાલુકા પંચાયતની 4, રાણાવાવની 2 અને કુતિયાણાની 1 બેઠક બિનહરીફ થઈ છે. વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષવાર ઉમેદવારોની સ્થિતિ નીચે મુજબ છે: આ ઉપરાંત, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં ખાલી પડેલી 1-1 બેઠક માટે પેટાચૂંટણી જેવો માહોલ છે. અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બિનહરીફ થયેલી બેઠકો પર ભાજપે પહેલેથી જ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનશે. વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન પ્રક્રિયાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:36 pm

ગીરની કેસર સાથે રત્નાગિરિની હાફૂસ ઓસ્ટ્રેલિયા પહોંચી:મુંબઈ એરપોર્ટથી એરકાર્ગોમાં પહેલું કન્સાઇનમેન્ટ મોકલાયું, જસાપુરના ખેડૂતે 800 બોક્સ એક્સપોર્ટ કર્યા

ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરી અને મહારાષ્ટ્રની રત્નાગિરિ હાફૂસ કેરીનું ચાલુ સિઝનનું પ્રથમ કન્સાઇનમેન્ટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યું છે. અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયા કેસર પહોંચી છે. તાલાલાના જસાપુરના ખેડૂત ચેતન મેંદપરાની કંપની ‘ધ મેંગો માર્ટ’ દ્વારા 800 બોક્સનો જથ્થો મુંબઈ એરપોર્ટથી એરકાર્ગો મારફતે રવાના કરવામાં આવ્યો હતો. હવે કેનેડા માટે પણ તૈયારી ચાલુ રહી છે. કેનેડા માટે પ્રોસેસ આ પ્રથમ ખેપમાં 600 બોક્સ કેસર અને 200 બોક્સ હાફૂસ કેરીનો સમાવેશ થાય છે. આ સમગ્ર જથ્થાનું પ્રોસેસિંગ નવી મુંબઈના વાસી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેનેડા માટે પણ 800 બોક્સ (400 કેસર અને 400 હાફૂસ) મોકલવાની તૈયારીઓ તેજ બની છે. અમદાવાદના બાવળા ખાતે આ કેરી પર રેડિયેશન પ્રક્રિયા પૂર્ણ કરી હાલ પેકિંગની કામગીરી ચાલી રહી છે. વૈશ્વિક યુદ્ધની નિકાસ પર માઠી અસરવર્ષ 2026ની આ સિઝનમાં કુદરતી આફતો અને વૈશ્વિક તણાવની બેવડી અસર જોવા મળી રહી છે. એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એરકાર્ગોના ભાડામાં તોતિંગ વધારો થયો છે. એરકાર્ગો ભાડા, 18% GST અને વીમા ખર્ચના કારણે નિકાસકારોની મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને ગલ્ફના દેશો જેવા કે ઓમાન, કતાર, દુબઈ અને સાઉદી અરેબિયામાં આ વર્ષે નિકાસ નહિવત રહેવાની શક્યતા છે. વિવિધ દેશોમાં એરકાર્ગો ભાડામાં થયેલો વધારો (પ્રતિ કિલો) વિદેશી બજારમાં કિંમતનિકાસ ખર્ચ વધવા છતાં વિદેશોમાં ભારતીય કેરીની ભારે માંગ છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 3 કિલો કેરીના બોક્સનો ભાવ 65 ઓસ્ટ્રેલિયન ડોલર અને કેનેડામાં 45થી 50 કેનેડિયન ડોલર બોલાઈ રહ્યો છે. જોકે, વધતા ખર્ચને કારણે આ વર્ષે કેસર કેરીની કુલ નિકાસમાં ઘટાડો નોંધાય તેવી ભીતિ નિકાસકારો સેવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:32 pm

રાજકોટ કોંગ્રેસના અજ્ઞાત સ્થળે ગયેલા ઉમેદવારો પરત ફર્યા:ભાજપે OBC અને SC ઉમેદવારોને ટાર્ગેટ બનાવી ખોટી રીતે ડરાવી ભરમાવી ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દિવસ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે પ્રયાસો થતા શહેર કોંગ્રેસ દ્વારા 12-12 ઉમેદવારોના અલગ અલગ 6 ગ્રુપ બનાવી અલગ અલગ સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવા સમય પૂર્ણ થતા તમામને પરત રાજકોટ લાવવામાં આવ્યા હતા. તમામ ઉમેદવારોને પરત લાવી શહેર પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, લોકો ભાજપના ભ્રસ્ટાચારી શાસનને ઓળખી ગયા છે અને તેનો ડર લાગતા ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યા છે જો કે આ વખતે અમે મજબૂત રીતે લોકશાહી ઢબે લડવા તૈયાર છીએ. અમારા ઉમેદવારોને પૈસાની ઓફર કરવામાં આવી નથી પરંતુ ખોટી રીતે ડરાવી દબાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં પણ OBC અને SC ઉમેદવારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. ભાજપના ભ્રસ્ટાચારી શાસનને લોકો ઓળખી ગયા છે અને જાકારો મળવાના ભયથી તેઓ આ પ્રકારની રાજનીતિ કરી મજબૂત લોકશાહીથી લડવા બદલે તોડજોડની રાજનીતિ કરી રહ્યા છે. અમે રણનીતિના ભાગ રૂપે ફોર્મ ચકાસણી દિવસથી આજે પરત ખેંચવા સમય પૂર્ણ થયા સુધી અમારા ઉમેદવારોને અલગ અલ સ્થળ પર લઇ ગયા હતા. 12-12 ઉમેદવારોના 6 ગ્રુપ બનાવ્યા હતા અને અમારા મુખ આગેવાનો આ 6 જૂથના 12-12 ઉમેદબરો સાથે સંપર્કમાં હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે, અમે પ્રથમ વખત ચૂંટણી લડતા અમારા ઉમેદવારોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અમારા કેટલાક ઉમેદવારો, સંગઠનના લોકો સતત લોકો વચ્ચે અને પ્રચારમાં પણ જોડાયેલા હતા. 18 વોર્ડ પૈકી 12 વોર્ડમાં અમારા કાર્યાલય પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ભાજપ લોકશાહી ઢબે મજબૂતાઈથી ચૂંટણી લડે તેવી અમારી વિનંતી છે અમે પણ લોકશાહી ઢબે લડવા તૈયાર છીએ જનતાનો જે આદેશ આવે તે અમે પણ સ્વીકારીશું તેઓએ પણ સ્વીકારવો જોઈએ. ભાજપ હજુ પણ આગામી દિવસોમાં કોઈ પણ રીતે ઉમેદવારોને છેડવામાં આવશે તો સામે એ જ રીતે અમે ભાજપને જવાબ આપીશું. ભાજપ સામે મજબૂત રીતે લડવા રાજકોટ શહેર કોંગ્રેસ સક્ષમ છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ચારથી વધુ ઉમેદવારોનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કોઈને પરિવારજનો તો કોઈને સગા સબંધીઓ મારફત સંપર્ક કરવામાં આવ્યા છે. રૂપિયાની ઓફર એક પણ ઉમેદવારને કરવામાં આવી નથી માત્ર ઉમેદવારોને ડરાવવા અને દબાવવા ખોટી રીતે પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપ દ્વારા ખાસ OBC અને SC બેઠક પરના ઉમેદવારોને ટાર્ગેટ કરી તેમને તોડવા માટે પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:30 pm

'દાઉદ-ISI સાથે સંકળાયેલા લોકો ખાડિયામાં ચૂંટણી લડે છે':અમદાવાદ BJPના પૂર્વ MLAનું નિવેદન, કહ્યું- 'પોતાની વાત પર અડગ છુ, અહીં પાકિસ્તાન નહીં થવા દઉં'

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વધતાની સાથે જ રાજકીય નિવેદનબાજીએ જોર પકડ્યું છે. જમાલપુર-ખાડિયા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે ખાડિયા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષી ઉમેદવાર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, દાઉદ ઈબ્રાહીમ અને ISI સાથે સંકળાયેલા લોકોના પરિવારજનો અહીં ચૂંટણી લડી રહ્યા છે. પોતાની જૂની રણનીતિને વળગી રહેતા ભટ્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ ખાડિયાને કોઈપણ સંજોગોમાં 'પાકિસ્તાન' નહીં બનવા દે અને ભૂતકાળના કાળા દાયકાનું પુનરાવર્તન થવા દેશે નહીં. આ નિવેદનને પગલે કોટ વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 'ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં એને હું વળગી રહીશ'ખાડિયા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે, ખાડિયા વોર્ડમાંથી કોંગ્રેસમાંથી એડવોકેટ ઇલિયાસ પઠાણ ચૂંટણી લડી રહ્યા છે. જોકે, જે રસુલ પાટીના કૌટુંબિક ભાઈ થાય છે. કાલની નવી પેઢીને ઘણી બધી વાત ખબર નથી હોતી ત્યારે તેમને જાણ કરવી જરૂરી છે. 'મારા નિવેદનની સો.મીડિયા રીલ બનાવીને દેખાડવામાં આવે છે'વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન વખતે મેં કહ્યું હતું કે ખાડીયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. જ્યાં-જ્યાં ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં મારા નિવેદનને રીલ સ્વરૂપે મૂકી રહ્યા છે કે, ભાજપના નેતા આપણા સમાજ માટે આ રીતે બોલી રહ્યા છે. ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ એ વાતને હું વળગી રહીશ. આ વાત મૂકવાનું કારણ 1980થી 1990નો દસકો ગુજરાત અને અમદાવાદે જોયો અને સહન કર્યો છે. કોટ વિસ્તારમાં કોમી રમખાણો અને તોફાનો થતાં હતા. જે બહાર જવાનું કારણ છે. 'ખાડિયાને ક્યા લઈ જવું એ નક્કી કરવું પડશે'ખાડિયા, જમાલપુર, કાલુપુર, રાયખડ, દરિયાપુર, શાહપુર જેવા વિસ્તારોમાંથી લોકોએ જતું રહેવું પડ્યું તેની પાછળનું કારણ આ દસકો છે. ગુજરાતમાં લતીફના ઈશારે સરકાર ચાલતી હતી. 1980થી 90 દાયકામાં શહેરમાં સરકાર, શાસન અને પોલીસ તંત્ર એના પર ચાલતું હતું. રાધિકા જીમખાના પર હુમલો હતો. કોંગ્રેસના સાંસદ રઉફ વલી પર હુમલો થયો હતો. શાર્પ શુટર દ્વારા રાયપુર ચકલા ખાતે ખાનગી ગોળીબાર થયો હતો. કોઈની હત્યા કરવા ગોળીબાર થયો હતો. રસુલ પાટી જે હરેન પંડ્યા, ટાડા, પોટા સહિતના કેસોમાં આરોપી છે. 1991થી 1992થી જેલ તોડી પેરોલ પર દાઉદ સાથે ISI સાથે સંકળાયેલો રસુલ પાટીના પરિવારના સભ્યો અહીંયા ચૂંટણી લડવા આવ્યા છે. ભલે ચૂંટણી લડવા આવે આપણે ડરતા નથી આજે ડર્યા નથી અને આવતીકાલે પણ ડરીશું નહીં. ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવાનું છે. અમદાવાદમાં 721 જેટલા ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છેઅમદાવાદમાં થલતેજ અને વાસણા વોર્ડની બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અમદાવાદમાં સાંજે 7:00 વાગ્યા સુધીમાં 22 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે, જ્યારે 721 જેટલા ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે દાણીલીમડામાં 3 ચાંદલોડિયા, નવાવાડજ, જમાલપુર, સરખેજ અને લાંભામાંથી 2 -2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે જ્યારે ચાંદખેડા, રાણીપ, થલતેજ, ઘાટલોડીયા, કુબેરનગર, બાપુનગર, ખાડિયા, બેહરામપુરા અને ઓઢવમાં એક- એક ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:29 pm

CMએ મહેસાણામાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા:ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ચૂંટણી સમયે એવા અનેક ઉમેદવારો આવે છે જે પાંચ વર્ષે એક જ વાર દેખાય

ગુજરાતમાં આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણાના લીંચ ગામથી ચૂંટણી પ્રચારના વિધિવત રીતે શ્રીગણેશ કર્યા છે લીંચ ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભા' માં મુખ્યમંત્રીની સાથે પ્રભારી પ્રવીણ માળી, ભરત ડાંગર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'ચૂંટણી સમયે એવા અનેક ઉમેદવારો આવે છે જે પાંચ વર્ષે એક જ વાર દેખાય 'મુખ્યમંત્રીએ કડી નગરપાલિકામાં 28 સભ્યો બિનહરીફ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, ચૂંટણી સમયે એવા અનેક ઉમેદવારો આવે છે જે પાંચ વર્ષે એક જ વાર દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે. જળસંચય અંગે તેમણે જણાવ્યું કે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારી સંગ્રહ કરી શકાય. ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહી હોવાનો સીએમનો દાવોસભાને સંબોધતા મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યનું બજેટ માત્ર 30,000 કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 4 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. તેમણે ઉમેર્યું કે પહેલા ખેડૂતોને બોરની પરમિશન લેવામાં પણ મુશ્કેલી પડતી હતી, પરંતુ આજે વડાપ્રધાનના પ્રયાસોથી નહેર વાટે ખેતર સુધી પાણી પહોંચ્યું છે અને ખેડૂતોને આંગળીના ટેરવે તમામ સુવિધાઓ મળી રહી છે. 'ગુજરાત વિરોધી તત્વોનો વિનાશ ન થાય ત્યાં સુધી ઉત્સવ મનાવવાનો નથી'આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કાર્યકર્તાઓને તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભારત વિરોધી અને ગુજરાત વિરોધી તત્વોનો વિનાશ ન થાય ત્યાં સુધી આપણે ઉત્સવ મનાવવાનો નથી. તેમણે કાર્યકર્તાઓને નાના-મોટા મતભેદો ભૂલી તમામ બેઠકો પર કમળ ખીલાવવા કમર કસવા હાકલ કરી હતી. વધુમાં તેમણે અમદાવાદ-મહેસાણા 8-લેન હાઈવે મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે બેઠકલીંચની સભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સાંજે 7 કલાકે મહેસાણા GIDC હોલ ખાતે પક્ષના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ રાત્રે 9 કલાકે મહેસાણાના સમર્પણ ચોક ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:29 pm

વેરાવળ પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને એક બેઠક બિનહરીફ મળી:વોર્ડ-1માં કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા પ્રહલાદ શામળા બિનહરીફ જાહેર

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં મોટો પલટો આવ્યો છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, જ્યારે ભાજપે શરૂઆતમાં જ એક બેઠક બિનહરીફ જીતી લીધી છે. મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપને સીધો ફાયદો થયો છે. આ વોર્ડ અનુસૂચિત આદિજાતિ માટે અનામત હોવાથી, ભાજપના ઉમેદવાર પ્રહલાદ શામળા એકમાત્ર ઉમેદવાર તરીકે રહ્યા અને તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી અધિકારી જૈમીન કાકડિયાએ આપેલી માહિતી અનુસાર, નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. જોકે, એક બેઠક બિનહરીફ થતાં હવે 43 બેઠકો પર મતદાન થશે. આ 43 બેઠકો માટે કુલ 115 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી પહેલા જ એક બેઠક ગુમાવવી કોંગ્રેસ માટે પ્રારંભિક નબળાઈ સૂચવે છે, જ્યારે ભાજપ માટે આ જીત કાર્યકરોમાં ઉત્સાહ વધારી શકે છે. શરૂઆતમાં મળેલી આ લીડ ભાજપને આગામી ચૂંટણી પ્રચારમાં મજબૂતી આપશે. હવે બાકી રહેલી 43 બેઠકો પર સૌની નજર છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે કટોકટીનો મુકાબલો જોવા મળશે. સ્થાનિક સ્તરે મતદારોનો મિજાજ કઈ દિશામાં વળે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલની પરિસ્થિતિએ ચૂંટણીનો માહોલ વધુ ગરમાવી દીધો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:08 pm

પોલીસ-કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ખેંચી ભાગ્યા:કોંગ્રેસને એક બાદ એક ત્રણ ઝટકા, SOGના બે અધિકારી પર આક્ષેપ; સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા

સુરત મનપાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કલેક્ટર કચેરી રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ હતી. વોર્ડ નં. 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા કલેક્ટર કચેરી પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી દ્રશ્યો સર્જાયા હતાં. નવાઈની વાત એ હતી કે ફોર્મ ખેંચ્યા બાદ બોની પટેલ પોતાના જ પક્ષના રોષે ભરાયેલા કાર્યકર્તાઓથી બચવા માટે કલેક્ટર કચેરીમાં દોડતા નજરે પડ્યા હતાં. બીજી તરફ, કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ વણસતી જોવા મળી છે, કારણ કે અત્યાર સુધીમાં કુલ ત્રણ ઉમેદવારો ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે. કોંગ્રેસના નેતા વિપુલ ઉધનાવાલાએ આ મામલે સુરત SOGના બે અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ મુજબ, પોલીસ અધિકારીઓના દબાણ અને દેખરેખ હેઠળ જ ઉમેદવાર પાસે ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું છે. બોની પટેલ પોતાની સાથે એક અપક્ષ ઉમેદવારને પણ લાવ્યા હતા અને તેમનું પણ ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત કલેક્ટર કચેરીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીસુરત કલેક્ટર કચેરીના પાંચમા માળે આજે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. મુખ્ય વિવાદ એવો છે કે, પોલીસ કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તાઓને સાથે રાખીને ચૂંટણી અધિકારીની ઓફિસમાં હાજર હોવાની બાતમી કોંગ્રેસના શહેર પ્રમુખ અને કાર્યકરોને મળી હતી. આ માહિતી મળતા જ કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં ત્યાં ધસી ગયા હતા અને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો સામસામે આવી જતાં કલેક્ટર કચેરી પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મામલો વણસતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 'બોની પટેલને SOGનો સ્ટાફ અને ભાજપના એજન્ટો જબરદસ્તીથી ઘરેથી ઉંચકી લાવ્યા'સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોલીસ તંત્ર અને ભાજપ પર આકરા પ્રહારો કરતા સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલને SOGનો સ્ટાફ અને ભાજપના એજન્ટો જબરદસ્તીથી ઘરેથી ઉંચકી લાવ્યા છે. ઉધનાવાલાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાદા ડ્રેસમાં સજ્જ પોલીસ કર્મચારીઓ અને સોનારા નકુમ જેવા વ્યક્તિઓ ભાજપના દલાલ તરીકે વર્તી રહ્યા છે અને ઉમેદવાર પર ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે અમે ઉમેદવારને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ધક્કામુક્કી કરી તેમને અંદર પૂરી દીધા હતા, જે લોકશાહીની હત્યા સમાન છે અને આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ. 'મેં કોઈ ભાજપના દબાણ હેઠળ નહીં પરંતુ મારી મરજીથી ફોર્મ ખેંચ્યું'સુરત મનપાની પેટાચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતના વોર્ડ નં. 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ફોર્મ ખેંચ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મેં કોઈ ભાજપના દબાણ હેઠળ નહીં પરંતુ મારી પોતાની મરજીથી ફોર્મ ખેંચ્યું છે. ચૂંટણીના કામકાજ અને બેનર જેવા મુદ્દે કાર્યકર્તાઓ સાથે ઉગ્ર મગજમારી થઈ હતી અને પરિવારના પણ કેટલાક પ્રશ્નો હતા, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપના સંપર્કમાં હતા, ત્યારે તેમણે સ્પષ્ટ નકાર ભણ્યો હતો. કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, બોની પટેલ જીવ બચાવવા દોડ્યાસુરતમાં વોર્ડ નં. 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ફોર્મ પાછું ખેંચતા જ કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ કૃત્યથી રોષે ભરાયેલા કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને બોની પટેલ વિરુદ્ધ ‘ગદ્દાર ગદ્દાર’ના જોરદાર નારા લગાવ્યા હતા. સ્થિતિ વણસતી જોઈ બોની પટેલ કચેરીની બહાર નીકળતી વખતે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દોડતા નજરે પડ્યા હતા. રોષે ભરાયેલા કાર્યકરોના આક્રોશથી બચવા માટે પોલીસે સુરક્ષા કવચ પૂરું પાડી તેમને સલામત બહાર કાઢવા પડ્યા હતા, જેના કારણે કચેરી સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. 'કામ નહીં થાય તો ફોર્મ ખેંચી લઈશ એવી જાણ પહેલેથી કરી હતી'કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમને 'ગદ્દાર' કહીને વિરોધ કરવામાં આવતા બોની પટેલે કહ્યું કે, હું ગદ્દાર નથી, મેં ફોર્મ ભરતી વખતે જ કીધું હતું કે જો મારું કામ નહીં થાય તો હું ફોર્મ પાછું ખેંચી લઈશ. પૈસાની લેતીદેતીના આક્ષેપોને ફગાવતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોઈ પૈસામાં વેચાયા નથી. ભાજપના કાર્યકર્તાઓ સાથે હોવાની વાત પર તેમણે પુરાવા માંગ્યા હતા અને દાવો કર્યો હતો કે કાર્યકર્તાઓ ચૂંટણીના કામમાં ધ્યાન ન આપતા હોવાથી તેઓ નારાજ હતા. જોકે, સુરતમાં ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારની આ અચાનક પીછેહઠથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના ગઢમાં ગાબડાં, એક બાદ એક ત્રણ ઝટકાસુરત મનપાની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ કોંગ્રેસની હાલત કફોડી થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતના વોર્ડ નં. 18માં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે, જ્યાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજય રામાનંદીએ અચાનક જ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ અણધાર્યા વળાંકને પગલે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે કે કોંગ્રેસના પોતાના જ ઉમેદવારો પક્ષને હરાવવા બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ વોર્ડ નં. 1માં બોની પટેલે પણ આજ રીતે ફોર્મ ખેંચીને પક્ષને મુશ્કેલીમાં મૂક્યો હતો. રામાનંદીએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસની 'પેનલ' તૂટીકોંગ્રેસ માટે મુસીબતોની હારમાળા અહીં અટકતી નથી. સૌથી પહેલા ભુપેન્દ્ર છગન પટેલનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા કોંગ્રેસે એક બેઠક ગુમાવવી પડી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 1 માં બોની પટેલની પીછેહઠ અને હવે વોર્ડ નં. 18માં સંજય રામાનંદીના ફોર્મ પરત ખેંચવાને લીધે કોંગ્રેસની 'પેનલ' તૂટી ગઈ છે. સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આક્ષેપ થઈ રહ્યો છે કે ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક મોટી ભૂલ થઈ છે અથવા તો ભાજપ દ્વારા કરવામાં આવતી ખેંચતાણ સામે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાક્રમ બાદ સુરતનું રાજકારણ ગરમાયું છે. વોર્ડ નં. 27 ના અપક્ષ ઉમેદવાર અનિતાબેન સૂરવાડેએ ફોર્મ પાછું ખેંચ્યુંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 27માં એક મહત્વપૂર્ણ રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં અપક્ષ ઉમેદવાર અનિતા સંતોષ સૂરવાડેએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. ખાસ વાત એ રહી હતી કે અનિતાબેન આજે સવારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સી. એમ. સોનવણે સાથે એક જ કારમાં સવાર થઈને આવ્યા હતા, જેના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અપક્ષ ઉમેદવારી પાછી ખેંચીને અનિતાબેને હવે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:02 pm

પથ્થરગેટમાં પત્ની-પુત્રી અને માસી પર પતિનો કટર વડે જીવલેણ હુમલો:ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, વડોદરામાં કૌટુંબિક કલહ લોહિયાળ બન્યો

વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં ઘરેલુ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી ગઈ છે. 8 મહિનાથી અલગ રહેતી પત્નીના ઘરે જઈ ઉશ્કેરાયેલા પતિએ પત્ની, પોતાની સગી પુત્રી અને વચ્ચે છોડાવવા પડેલા માસી પર કટર બ્લેડ વડે હિચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા-પુત્રી અને માસીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂની અદાવત રાખી ગાળાગાળી કરી, જોતજોતામાં ઝઘડો ઉગ્ર બન્યોવડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા પથ્થરગેટ પાસેની ખારવા વાડમાં 33 વર્ષીય મયુરીબેન ખારવા રહે છે. તેમના લગ્ન શૈલેષ ખારવા સાથે થયા હતા, પરંતુ છેલ્લા 8 મહિનાથી દંપતી વચ્ચે મતભેદો ચાલતા હોવાથી મયુરીબેન પોતાની દીકરી રિયા સાથે પિયરમાં માતાના ઘરે રહેતા હતા. ગઈકાલે 14 એપ્રિલના રોજ બપોરના સમયે મયુરીબેન ઘરે રાખડી બનાવવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પતિ શૈલેષ ત્યાં ધસી આવ્યો હતો અને જૂની અદાવત રાખી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. પત્ની, પુત્રી અને માસી પર કટરના ઘા ઝીંક્યાજ્યારે આ ઝઘડો હિંસક બની રહ્યો હતો, ત્યારે મયુરીબેનના માસી ભાનુમતિબેન વચ્ચે છોડાવવા પડ્યા હતાં. આરોપી શૈલેષે પિત્તો ગુમાવી ભાનુમતિબેનનું ગળું પકડી લીધું હતું અને પોતાની પાસે રહેલી ધારદાર કટર બ્લેડ કાઢી હુમલો કરી દીધો હતો. પતિએ પોતાની પત્ની મયુરીબેન, માસી ભાનુમતિબેન અને નિર્દોષ દીકરી રિયા પર કટરના ઘા ઝીંકી દીધા હતાં. ત્રણેયને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરી મૂકી હતી. 'જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી નાસી છૂટ્યો હુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી શૈલેષ પત્નીને 'જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મયુરીબેન અને રિયાને તાત્કાલિક જમનાબાઈ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, પુત્રી રિયા અને માસી ભાનુમતિબેનને ગંભીર ઈજાઓ હોવાથી તેઓને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. શૈલેષ ખારવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. મયુરીબેનની ફરિયાદના આધારે પોલીસે ફરાર શૈલેષ ખારવા વિરુદ્ધ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પવિત્ર સંબંધોમાં લોહી વહેતા પથ્થરગેટ વિસ્તારમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:33 pm

પાટડી નગરપાલિકાની 18 બેઠકો પર ભાજપ બિનહરીફ:દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા

પાટડી નગરપાલિકાની 18 બેઠકો અને દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખે આ પરિણામ આવ્યું હતું. પાટડી નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થયા છે. આ જીત સાથે ચૂંટણી પહેલા જ પાટડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. દસાડા તાલુકા પંચાયતમાં સવલાસ, કઠાડા અને ખારાઘોડા-2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. પરિણામે, આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. સવલાસ તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કિસ્મતભાઈએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા હતા. આગામી સમયમાં 5 જિલ્લા પંચાયત બેઠકો, 19 તાલુકા પંચાયત બેઠકો અને 6 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે. આ પ્રસંગે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, વિક્રમભાઈ રબારી, શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની, પાટડી ગ્રામ્ય ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:28 pm

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું, કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Gujarat Local Body Election 2026: રાજ્યમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે, શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જો કે પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર નહોતા કરવામાં આવ્યા ત્યારે શુક્રવાર મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા માટે આવતા ખૂબ ભીડ પણ જામી હતી. આ સાથે જ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો હતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા હાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

ગુજરાત સમાચાર 15 Apr 2026 6:27 pm

મોરબીમાં 6 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા:મહાપાલિકામાં 178, જિલ્લા પંચાયતમાં 78 ઉમેદવારો મેદાનમાં

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 6 ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મહાનગરપાલિકાની 52 બેઠકો માટે હવે 178 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 78 ઉમેદવારો ચૂંટણી લડશે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારી કરનારા પૂર્વ પાલિકા પ્રમુખ અનોપસિંહ જાડેજાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. જોકે, તેમના પત્ની સીતાબા અનોપસિંહ જાડેજાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણી મેદાનમાં યથાવત છે. ઉલ્લેખનીય છે કે, સીતાબા જાડેજાના ફોર્મ ભરવા સમયે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે રકઝક થઈ હતી, જેના વીડિયો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત, મોરબીના વોર્ડ 10 માંથી ભાજપથી નારાજ થઈને અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ કંઝારીયાએ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 13 માંથી અપક્ષ ઉમેદવાર દીપેશ તુલસી સોનગ્રાએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હસીનાબેન કાસમ સુમરાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. જિલ્લા પંચાયતની અન્ય બે બેઠકો પરથી પણ ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે. ટંકારા તાલુકા પંચાયતની બંગાવડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયાએ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી ભાજપ અને તેના ઉમેદવારને સમર્થન આપ્યું છે. જ્યારે ટંકારા તાલુકા પંચાયતની નાના ખીજડીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનાર ધ્રુવનગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ પણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે અને તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:26 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કોંગ્રેસના ઉમેદવારને ભાજપની 30 લાખની ઓફર, LD એન્જિ.ની હોસ્ટેલનો સ્લેબ વિદ્યાર્થિની માથે પડ્યો

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:22 pm

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે

India-US Trade Deal 2026 : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ અને ટેરિફ મુદ્દે આગામી સપ્તાહે વોશિંગ્ટન પહોંચીને અમેરિકન નેતાઓ સાથે બેઠક કરશે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સકારાત્મક વાતચીત થયા બાદ આ નિર્ણય લેવાયો છે. ભારતીય પ્રતિનિધિમંડળ 20 એપ્રિલે અમેરિકા પહોંચશે સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય પ્રતિનિધિમંડળ 20થી 22 એપ્રિલ દરમિયાન અમેરિકા જવાનું છે.

ગુજરાત સમાચાર 15 Apr 2026 6:19 pm

સસ્તી એર ટિકિટના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ:સાયબર ક્રાઇમે બેંગ્લોરથી BAMS ડોક્ટરને દબોચ્યો, 45 બનાવટી એર ટિકિટ પધરાવી 7.67 લાખની ઠગાઈ

સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવતા બેંગ્લોરથી એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે વ્યવસાયે ડોક્ટર હોવા છતાં સાયબર ફ્રોડના રવાડે ચઢ્યો હતો. પકડાયેલ આરોપી હુમાયું કબીર (BAMS ડોક્ટર) અન્ય વેબસાઇટ્સની સરખામણીએ ખૂબ જ સસ્તા દરે એર ટિકિટ બુક કરી આપવાની લાલચ આપતો હતો. તે ટ્રાવેલ એજન્ટો અને સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે સસ્તા દરનું પ્રલોભન આપી વિશ્વાસ કેળવતો હતો. જ્યારે કોઈ ગ્રાહક ટિકિટ બુક કરાવવા તૈયાર થાય, ત્યારે આરોપીઓ એડિટિંગ અને કુટલેખન દ્વારા આબેહૂબ અસલી દેખાતી બનાવટી ઇલેક્ટ્રોનિક એર ટિકિટ બનાવી મોકલી આપતા હતા, જેના કારણે સામાન્ય માણસ છેતરાઈ જતો હતો. સુરતના ફરિયાદી સાથે 7.67 લાખની છેતરપિંડીઆ કેસની વિગત મુજબ, સુરતના એક ફરિયાદીએ પોતાના 15 જેટલા કસ્ટમરો માટે કુલ 45 એર ટિકિટ બુક કરાવવા માટે આ ગેંગનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ માર્કેટ રેટ કરતા સસ્તી ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીએ વિશ્વાસ રાખી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. 8,17,550 ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મળી ગયા બાદ આરોપીઓએ તમામ 45 ટિકિટો ખોટી અને બનાવટી બનાવીને મોકલી આપી હતી. બાદમાં છેતરપિંડીનો અહેસાસ થતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા, જેમાંથી આરોપીઓએ માત્ર 50 હજાર પરત કરી બાકીના રૂ. 7,67,550 ઓળવી લીધા હતા. અંતે ભોગ બનનારે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બેંગ્લોરથી ઝડપાયો માસ્ટરમાઈન્ડ હુમાયું કબીરસુરત સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસની તપાસ બેંગ્લોર સુધી પહોંચી હતી, જ્યાંથી 29 વર્ષીય હુમાયું કબીર અબ્દુલ રજાકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ આસામનો વતની છે અને બેંગ્લોરના હુલીમાવું વિસ્તારમાં રહીને આ કૌભાંડ ચલાવતો હતો. નવાઈની વાત એ છે કે આરોપીએ BAMS સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ મેડિકલ પ્રેક્ટિસ કરવાને બદલે તેણે વર્ષ 2024માં 'FLYUTRAVELS PVT LTD' નામની ઓફિસ ખોલી આ કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. દેશભરમાં 22 કરોડથી વધુનું સાયબર ફ્રોડતપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આરોપી અને તેના સાથીદારોના કુલ 29 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચેક કરતા માલુમ પડ્યું છે કે આ ગેંગ વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં કુલ 23 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂ. 22,24,72,972 નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના ગુનામાં વપરાયેલા ચોક્કસ એકાઉન્ટ્સ પણ અન્ય 8 ફરિયાદોમાં સંડોવાયેલા છે, જેમાં 7 કરોડથી વધુના વ્યવહારો થયા છે. કઈ રીતે આચરતા હતા ગુનો?આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તેઓ સોશિયલ મીડિયા અથવા ડાયરેક્ટ માર્કેટિંગ દ્વારા ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરતા હતા. તેઓનો દાવો હતો કે તેઓ બલ્ક બુકિંગ અથવા ખાસ ક્વોટા હેઠળ સસ્તી ટિકિટ અપાવે છે. જ્યારે કોઈ પેમેન્ટ કરે ત્યારે ગ્રાફિક્સ એડિટિંગ સોફ્ટવેરની મદદથી પીએનઆર (PNR) અને પેસેન્જર ડિટેલ્સ સાથેની નકલી ટિકિટ તૈયાર કરી પીડીએફ ફોર્મેટમાં મોકલી આપતા. ગ્રાહક જ્યારે એરપોર્ટ પર પહોંચે અથવા એરલાઈન્સમાં ચેક કરે ત્યારે જ તેને ખબર પડતી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:15 pm

ગુજરાત પોલીસ સક્ષમ ન હોય તો CBIને તપાસ સોંપાશે:હાઇકોર્ટ:143 કરોડથી શરૂ થયેલ ફ્રોડનો આંકડો 1800 કરોડે પહોંચ્યો, ગુજરાતની કો ઓપરેટિવ બેંકના ખાતાઓનો દૂરઉપયોગ

ડિસેમ્બર, 2025માં અમદાવાદના રામોલ પોલીસ મથકે આરોપી ગૌરાંગ પટેલ અને નવીનભાઈ સહિત તપાસમાં મળી આવે તેવા આરોપીઓ વિરુદ્ધ BNS અને IT એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ ધરપકડ કરાયેલા આરોપી ગૌરાંગ પટેલે ઓછું ભણેલા એક વ્યક્તિના ડોક્યુમેન્ટ લઈને તેનું કો-ઓપરેટીવ બેંકમાં બેંક ખાતુ ખોલ્યું હતું. જેમાં પાસબુક, ચેકબુક સહિતની બેન્ક કીટ તેને આપી નહોતી. બેંકમાં કિરણ ટ્રેડર્સના નામે ખાતું ખોલ્યું ને 40 દિવસમાં 143 કરોડ જમા થયાત્યારબાદ આ વ્યક્તિના ખાતામાં 143 કરોડ રૂપિયાની રકમ જમા થઈ હતી. ગુજરાત મર્ચન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકમાં કિરણ ટ્રેડર્સના નામે ખાતું ખોલવામાં આવ્યું હતું. માત્ર 40 દિવસના સમયગાળામાં તેના ખાતામાં 143 કરોડ રૂપિયા જમા થયા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ સમગ્ર દેશમાંથી 117 ફરિયાદો આ ખાતા ઉપર કરેલી છે. સમન્વય પોર્ટલ મારફતે આ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સાયબર ફ્રોડનો આંકડો 1800 કરોડે પહોંચ્યોઆરોપીઓ દ્વારા 40 બેક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. જેમાં નીચલી અદાલતે આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા આરોપીએ જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સંજ્ઞાન લેતાં નોધ્યું હતું કે આ આંકડો 143 કરોડથી નથી અટકતો, પરંતુ આંકડો 1815 કરોડ જેટલી અધધ મોટી રકમ સુધી પહોંચ્યો છે. ફક્ત 5 એકાઉન્ટ સામે 638 જેટલી ફરિયાદ કો-ઓપરેટીવ બેંકના ફક્ત 5 એકાઉન્ટ સામે 638 જેટલી ફરિયાદ નોધાઇ છે. એક બેંકમાંથી બીજી બેંકમાં રકમો ટ્રાન્સફર થાય છે. નાના માણસોને આરોપી બનાવવામાં આપ્યા છે. અને આ કેસમાં હજી સુધી ફક્ત એક જ વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ સક્ષમ ન હોય તો CBIને તપાસ સોંપાશે:હાઇકોર્ટગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને જણાવ્યું હતું કે, જો રાજ્ય આ કેસની તપાસ કરવા માટે સક્ષમ ન હોય તો હાઇકોર્ટ તેની તપાસ CBI ને સોંપી શકે છે. આ સંદર્ભે રાજ્ય સરકારે સમય માંગતા 29 એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:11 pm

IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખસ ઝડપાયો:આઈડીમાં લાખો રુપિયાની બેલેન્સ હોવાનું સામે આવ્યું, સુભાસનગરના જ શખસ પાસેથી યુઝર આઈડી મેળવી હતી

IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખસને ભાવનગરમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. ઘોઘા ગામના પાદરમાં પોલીસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. જ્યાં સુભાષનગરનો એક શખસ ઓનલાઈન સટ્ટો રમાડતો હોવોની એલસીબી ટીમને બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડીને એલસીબીએ શખસને ઝડપ્યો હતો. ચાલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ સમયે LCBના દરોડાસમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર 14 એપ્રિલે એલસીબીની ટીમ ઘોઘા પંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના સુભાષનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતો મોનિત ઉર્ફે લાલો મકવાણા ઘોઘા ગામના પાદરમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રમી રહ્યો છે અને IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો હોવાની માહિતી મળતા એલસીબીની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીએ સટ્ટા રમવાની કબૂલાત કરીક્રિકેટ ટુર્નામેન્ટે ગ્રાઉન્ડમાંથી મોનિત ઉર્ફે લાલો ચેતન મકવાણા ઉંમર વર્ષ 36ને અટક કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં લાલાએ કબુલાત કરી હતી કે તેની પાસે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી સુભાષનગર વિસ્તારમાં જ રહેતા પ્રવીણ ઉર્ફે રાણી મકવાણા પાસેથી આઈડી પાસવર્ડ મેળવી પોતે હાલમાં ચાલી રહેલી ચેન્નઈ સૂપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડરની ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ મેચ પર રનના સોદો પાડી સટ્ટો રમાડે છે. આઈડીમાં લાખોની બેલેન્સ હોવાનો ખુલાસોએલસીબીએ લાલા પાસેથી રૂ.10,000ની કિંમતનો મોબાઇલ તથા રોકડા રૂપિયા 7,500 મળી કુલ રૂપિયા 17,500નો મુદ્દમાલ કબજે કરી તેની તથા પ્રવિણ ઉર્ફે રાણી વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 અ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.સટોડિયા લાલાનો મોબાઇલ ચેક કરતા અન્ય ગ્રાહકો સાથે લાખોના સોદા થયા હોવાનું અને આઈડીમાં પણ લાખો રૂપિયાની બેલેન્સ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ક્રિકેટ સટ્ટામાં દાવ લગાવતા અન્ય શખસના નામ પણ ખુલવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:08 pm

ચંદ્રુમાણા ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ:રોહિત સમાજે દીપ-પુષ્પાંજલિ અર્પી, કેક કાપી ખુશી વ્યક્ત કરી

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી રોહિત સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની સૌપ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રોહિત અને વાલ્મિકી પરિવારોએ ઉપસ્થિત રહી ડો. બાબાસાહેબની તસવીર સમક્ષ દીપ પ્રગટાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કેક કાપી ખુશી વ્યક્ત કરી હતી. પૂર્વ સરપંચ બાબુભાઈ ચાવડાના ઘર પાસે આવેલા ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ માહિતી અધિકારી ભરતભાઈ રાવલે બંધારણ ઘડવૈયાના બહુમૂલ્ય પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે ચોકને ડો. બાબાસાહેબના નામે કરવા અને શક્ય હોય તો તેમની પ્રતિમા સ્થાપિત કરવા સૂચન કર્યું હતું. વિહિપના નીતિનભાઈ વ્યાસે સામાજિક સમરસતા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આયોજક કાન્તિભાઈ ચાવડાએ સમાજના સંઘર્ષો અને સન્માનજનક જીવન પ્રદાન કરવામાં બાબાસાહેબની ભૂમિકાને બિરદાવી હતી. ગ્રામ પંચાયત સદસ્ય બળવંતસિંહ દરબાર, રજનીભાઈ ચાવડા અને નાથાભાઈ ચાવડાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂર્વ સરપંચ બાબુભાઈ, ખેંગારભાઈ, ગણપતભાઈ, જગદીશભાઈ અને જગાભાઈ વાલ્મિકી સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:57 pm

45 વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાથી ફંડ ભેગું કરી જીવદયા કરી:બાળકોએ કીડિયારું પૂરવાનો સેવા યજ્ઞ કર્યો

એક્સલન્ટ ક્લાસીસના 45 વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જીવદયાનું કાર્ય કર્યું છે. તેમણે ભંડોળ એકત્રિત કરીને કીડિયારું પૂરવાનો સેવા યજ્ઞ કર્યો હતો. ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાનો વિશેષ મહિમા હોવાથી, વિદ્યાર્થીઓએ 10 મણ ઘઉંનો લોટ, દેશી ગોળ, ખાંડ અને ઘીનું કુલ 151 કિલોનું મિશ્રણ તૈયાર કર્યું હતું. આ મિશ્રણનો ઉપયોગ કીડિયારું પૂરવા માટે કરવામાં આવ્યો હતો. ક્લાસના શિક્ષકો બ્રિન્દાબેન ઉમરાણીયા અને શીતલબેન મકાણીએ જણાવ્યું કે, આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ જીવદયાનો સંદેશ ફેલાવવાનો છે. તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ પોતાની આસપાસના અબોલ જીવોની ચિંતા કરવી જોઈએ. આવી સેવાકીય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યમાં સોશિયલ પ્લેટફોર્મ દ્વારા અને સીધા સહભાગી થયેલા દાતાઓને પણ આ સેવા પ્રવૃત્તિ આકર્ષક લાગી હતી. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવામાં મદદ કરે અને સૌ સત્કાર્યમાં ભાગીદાર બને.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:56 pm

નવસારીમાં ભાજપ ઉમેદવારની કોલેજમાં EVM મશીનો મુકાતા વિવાદ:કોંગ્રેસને મશીનોની સુરક્ષા સામે શંકા, ચૂંટણીની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે EVM મશીનોના સંગ્રહસ્થાનને લઈને વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારની માલિકીની કોલેજમાં જ EVM મશીનો રાખવામાં આવતા કોંગ્રેસે ચૂંટણીની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અગ્રવાલ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવાયોનવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 192 બૂથ પર મતદાન થવાનું છે. આ માટેના EVM મશીનો હાલ શહેરની અગ્રવાલ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જોકે, આ કોલેજના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ પોતે વોર્ડ નંબર 5માંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીની નિષ્પક્ષતા જોખમાઈ શકે છે : કોંગ્રેસભાજપના ઉમેદવારની માલિકીની સંસ્થામાં ચૂંટણીના મુખ્ય મશીનો રાખવા સામે કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીઓએ સખત વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે આનાથી ચૂંટણીની નિષ્પક્ષતા જોખમાઈ શકે છે અને મશીનો સાથે છેડછાડ થવાની આશંકા રહેલી છે. અગાઉ પણ થયો હતો વિરોધઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે અગ્રવાલ કોલેજમાં મશીનો રાખવા સામે વિરોધ થયો હોય. અગાઉની ચૂંટણીઓ વખતે પણ કોંગ્રેસના અગ્રણીઓએ આ સ્થળની પસંદગી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા ફરી એ જ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત, સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ : રિટર્નિંગ ઓફિસરઆ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે યોજવામાં આવશે. EVM મશીનો જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. તંત્રએ કોઈપણ પ્રકારની ગેરરીતિને અવકાશ ન હોવાની ખાતરી આપી છે, પરંતુ વિપક્ષ આ ખુલાસાથી સંતુષ્ટ જણાતો નથી અને મશીનોની સુરક્ષા અંગે શંકા યથાવત રાખી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:55 pm

BREAKING: ટ્રમ્પે કરી મોટી જાહેરાત- 'હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું', જાણો ચીન વિશે શું કહ્યું

US Iran War: હોર્મુઝમાં અમેરિકન નાકાબંધી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને થોડા નરમ પડતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ફરી ઈરાન સાથે બેઠક થવાના સમાચારો વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું. આ ચીન અને દુનિયા માટે કરી રહ્યો છું. હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું: ટ્રમ્પ

ગુજરાત સમાચાર 15 Apr 2026 5:53 pm

સગીરાના અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ:પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ, અમદાવાદથી ખેડબ્રહ્મા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે અમદાવાદની ચાંદખેડાની 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ ઉર્ફે કાળાભાઈ રબારીને 20 વર્ષની સખત કેદની સજા અને 23 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત ભોગ બનનાર પીડિતાને ચાર લાખનું વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે. સગીરાને ખેડબ્રહ્મા લઈ જઈ દુષ્કર્મ આચર્યું આ કેસની વિગત મુજબ, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા કમલેશ કલાભાઈ ઉર્ફે કાળાભાઈ રબારીએ વર્ષ 2023માં 15 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી તેને લગ્નની લાલચ આપી હતી. બાદમાં ગત 17 ડિસેમ્બર 2023ના રોજ આરોપી સગીરાને ભગાડીને ખેડબ્રહ્માના શ્યામનગર ખાતે માણેકનાથના મંદિર પાસે આવેલી એક અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવીઆ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ પૂર્ણ કરી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ.પંડ્યાએ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી કે, આરોપીએ સગીરાની નાની ઉંમરનો લાભ ઉઠાવી જે ખરાબ કૃત્ય કર્યું છે. તે બદલ તેને કડક સજા થવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવા ગુના આચરતા લોકોમાં ડર રહે અને સમાજમાં એક મજબૂત દાખલો બેસે. આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવીજેના પગલે બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર 20 વર્ષની સખત કેદની સજા અને ઉપરાંત, આરોપીને કુલ રૂ. 23 હજારનો દંડ ભોગવવા હુકમ કર્યો છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને તેના પુનર્વસન માટે રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:45 pm

ગ્રામ વિકાસ વિભાગમાં મોટા પાયે બદલી-બઢતી:6ને તાલુકા વિકાસ અધિકારીનું પ્રમોશન, 16ની બદલી; જાણો કોને ક્યાં મૂકાયા

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં અધિકારીઓની બદલી અને બઢતીનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશ હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાના અનેક અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલમાં બઢતીવિભાગના આદેશ મુજબ ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ-8 (₹44,900 થી ₹1,42,400)માં બઢતી આપી તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે કેટલાક અધિકારીઓની વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બદલી પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પંચાયત કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અમરેલી, રાજકોટ, જામનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ફેરફારો નોંધાયા છે. આંશિક સુધારા કરીને કેટલીક નિમણૂકો “ab initio” અસરથી અમલતે ઉપરાંત અગાઉના આદેશોમાં પણ આંશિક સુધારા કરીને કેટલીક નિમણૂકો “ab initio” અસરથી અમલમાં મુકવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ બદલીઓ વહીવટી સુવિધા અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવી છે. આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત તમામ અધિકારીઓએ તાત્કાલિક પોતાની નવી જગ્યાએ હાજર થવું રહેશે. જો કોઈ અધિકારી સમયસર હાજર નહીં થાય તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. વહીવટી કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસઆ ઉપરાંત, ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ મોટા પાયે થયેલા ફેરફારોને કારણે રાજ્યના ગ્રામ વિકાસ તંત્રમાં નવી ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:45 pm

ધો.10 CBSE માં તથ્ય રીબડીયા રાજકોટ ટોપર:મોદી સ્કૂલના વિદ્યાર્થીએ 98% મેળવ્યા - ટોપ IIT માં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન, કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીનું ટ્યુશન વિના ઉજ્જવળ પરિણામ

દેશભરમાં ધોરણ 10 નુ CBSE નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. એમાં ભારતમાંથી 26 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 24.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે એટલે કે 93.60 ટકા જેટલું રિઝલ્ટ આવ્યુ છે. જેમાં રાજકોટમાં મોદી સ્કૂલનો વિદ્યાર્થી 98 ટકા સાથે ટોપર છે. જેનું સ્વપ્ન ટોપ IIT માં એન્જિનિયરિંગ કરવાનું છે તો અન્ય વિદ્યાર્થીએ ટ્યુશન વિના ધોરણ 10 માં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય, ધોળકિયા સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે. શહેરની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તથ્ય રીબડીયાને ધોરણ 10 સીબીએસઈમાં 98 ટકા આવ્યા છે. જેમના પિતા મહેશભાઈ જેતપુરની બોસમીયા કોલેજમાં કોમર્સ વિભાગના હેડ છે. જ્યારે માતાનું નામ નયનાબેન છે. પિતા જણાવે છે કે, મારી બંને પુત્રી મોદી સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકી છે. જેમાં એક પુત્રી એન્જિનિયરિંગ તો બીજી પુત્રીએ મેડિકલનો અભ્યાસ કરેલો છે. આ સ્કૂલમાં સાયન્સનું પાયાથી જ્ઞાન આપવામાં આવે છે અને તેને કારણે મેં મારા પુત્રને મોદી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો. ધોરણ 9 અને 10 એમ બે વર્ષ તે મોદી સ્કૂલની ઈશ્વરીયા બ્રાન્ચમાં આવેલી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. જેનું આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. તે ધોરણ 11 અને 12 માં સાયન્સમાં એ ગ્રુપ પસંદ કરી આઇઆઇટીમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. જ્યારે આ જ સ્કૂલની વિદ્યાર્થિની શ્રેયા પરખીયાને 96.06 ટકા તો મીના કેશવને 96.04 ટકા આવ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થી રુદ્ર પારેખે જણાવ્યું હતુ કે, હું ધોરણ 10માં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારે ધોરણ 10 CBSE માં 89.04 પર્સન્ટેજ આવ્યા છે. જેની ક્રેડિટ હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપવા માંગીશ. કોઈપણ જાતના ટ્યુશન વિના આખું વર્ષ ખૂબ મહેનત કરી અને તેથી આટલું સારું પરિણામ આવ્યું છે. ધોરણ 11 -12 કોમર્સ બાદ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવાનું મારું સ્વપ્ન છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:43 pm

ફોર્મ પરત ખેંચવાના દિવસે ભારે ધમાલ મચી:કલેકટર ઓફિસ પર કોંગ્રેસ કાર્યકર્તા-પોલીસ વચ્ચે ઘર્ષણ, આપ પોતાના 111 ઉમેદવારોને સાચવવામાં સફળ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:42 pm

વલસાડમાં 25 બેઠકો બિનહરીફ; ભાજપનો ચૂંટણી પહેલાં જ વિજય:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જમાવી છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હરીફ ઉમેદવારોએ મેદાન છોડતાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 25 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આનાથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, કુલ 36 બેઠકો પૈકી 4 મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આ બેઠકોમાં મોહનગામ, કોસંબા, નનકવાડા અને દાંતીકકવાડીનો સમાવેશ થાય છે. આ જીત સાથે ભાજપે જિલ્લા પંચાયત પર પોતાની પકડ મજબૂત કરી છે. તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે. વલસાડ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે વાપી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 1 બેઠક (OBC) પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક સ્વીકૃતિથી પ્રભાવિત થઈને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેમણે આ જીતને જનતાના વિશ્વાસનું પ્રતીક ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:35 pm

ઘર પાસે ગાળો ન બોલવા મુદ્દે પથ્થરમારો:મોતીતળાવ વિસ્તારમાં બે જૂથ વચ્ચે માથાકૂટમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, બંન્ને પક્ષે સામસામે ફરિયાદ

ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘર પાસે ગાળો બોલવા મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાતા સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષે સામસામે કુલ 6 શખસ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બે જૂથ વચ્ચે બબાલમાં પથ્થરમારોસમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથેકથી જાણવા મળતી વિગતો અનુસાર ગત રાત્રિના સમયે સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શેરી નંબર 3માં રહેતા પરપ્રાંતીય યુવાન રાજન લાલજી ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી કે, ઘર પાસે બેઠો હોય એ સમયે ફારુક ઉર્ફે બબન તેના ઘર પાસે ગાળો બોલતો હતો. આથી ફરિયાદી રાજને ફારૂકને તેના ઘર પાસે ગાળો ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલા ફારુકે રાજન સાથે ઝઘડો કર્યો હતો. ફારૂકે તેના સાગરીતો મોહસીન, તથા ફીયાઝને બોલાવી ફરિયાદી રાજન તથા તેના પરિવાર પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં રાજનને ઢીકાપાટુનો મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત રાજનને સારવાર માટે સર્ટિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બોરતળાવ પોલીસ મથકમાં કુંભારવાળા મોતીતળાવ શેરી નંબર 2 માં રહેતા મોહસીન રહીમભાઈ શેખ, ફારૂક ઉર્ફે બબન ગફરભાઈ મન્સૂરી અને ફિયાઝ અહેમદભાઈ શેખ વિરુદ્ધ BNS કલમ 115(2),125, 352, 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંન્ને પક્ષની સામસામે પોલીસ ફરિયાદજ્યારે સામાંપક્ષે મોહસીન રહીમ શેખ એ આજ વિસ્તારના રાજન લાલજી ગુપ્તા, દેવનાથ ગુપ્તા, અને મોનું દેવનાથ ગુપ્તા વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજન કોઈપણ કારણ વિના તેના મિત્ર ફારુક ઉર્ફે બબનને ગાળો દેતો હતો. આથી ફરિયાદી મોહસીને રાજનને ગાળો દેવાની ના પાડતા રાજન તથા તેના સાગરીતોએ તેના મિત્રો પર પથ્થરમારો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે મામલે બોરતળાવ પોલીસે રાજન લાલજી ગુપ્તા, દેવનાથ ગુપ્તા અને મોનું દેવનાથ ગુપ્તા રહે તમામ કુંભારવાડા મોતીતળાવનાઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 125, 352,54 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. જ્યારે પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:32 pm

પંચમહાલમાં ભાજપ 33 બેઠકો પર બિનહરીફ જાહેર:ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મોટો ઉલટફેર

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ દિવસે ભાજપના કુલ 33 ઉમેદવારો વિવિધ બેઠકો પર બિનહરીફ જાહેર થયા હતા, જે વિરોધ પક્ષો માટે મોટો ઉલટફેર સાબિત થયો. જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ બેઠકોમાં ગોધરાની 2, શહેરાની 4 અને કાલોલની 1 બેઠકનો સમાવેશ થાય છે. સાંપા, નદીસર, અણિયાદ, મંગલિયાણા, નાદરવા, ધામરોળદ અને કરોલી જેવી બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે. તાલુકા પંચાયતની કુલ 174 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમાં શહેરાની 14, હાલોલની 3, કાલોલની 6 અને ગોધરાની 3 બેઠકોનો સમાવેશ થાય છે. ગોધરા નગરપાલિકાની 44 બેઠકોમાંથી 4 મહિલા અનામત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ બેઠકો વોર્ડ નંબર 3માં 2, વોર્ડ નંબર 4માં 1 અને વોર્ડ નંબર 10માં 1 મહિલા બેઠકનો સમાવેશ થાય છે. શહેરા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આના પરિણામે, ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે શહેરા નગરપાલિકામાં પોતાનું શાસન જાળવી રાખ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:25 pm

'હું સ્થિતિ એવી બનાવીશ, તમારે ફોર્મ પરત લેવું જ પડશે':સુરત મનપામાં આપના મહિલા ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ, ભાજપના ઉમેદવારની કથિત ઓડિયો વાઈરલ

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 18 (લિંબાયત-મેગોબ વિસ્તાર) માં ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત અને આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર વચ્ચે થયેલી કથિત વાતચીતનો એક ઓડિયો સામે આવતા 'હોર્સ ટ્રેડિંગ' અને રાજકીય દબાણના આક્ષેપોએ જોર પકડ્યું છે. 'અમારી સાથે જોડાવવામાં ફાયદો તમારો જ છે'વાયરલ થયેલા કથિત સંવાદમાં વોર્ડ-18માં ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાંથી ખસી જવા અને પક્ષ પલટો કરવા માટે સમજાવતા સંભળાય છે. દિનેશ રાજપુરોહિત મહિલા ઉમેદવારને કહે છે કે, તમે પણ ઉમેદવાર છો અને હું પણ એટલે તમારા ઘરે મળવું યોગ્ય નહીં લાગે. આપણે કોઈ ત્રીજી જગ્યાએ મળીને વાત કરીએ. તે મહિલા ઉમેદવારને લોભામણી લાલચ આપતા કહે છે કે, જો તમે અમારી સાથે જોડાઈ જશો તો આગળ જતાં તમને ફાયદો થશે. આજે મદદ કરવાનો અવસર છે, પછી આવી તક નહીં મળે. સંવાદમાં તેઓ એમ પણ કહેતા સંભળાય છે કે, ચૂંટણીનું આયુષ્ય તો માત્ર 10 દિવસનું જ હોય છે પણ આપણે આખી જિંદગી સામસામે પ્રતિદ્વંદ્વી રહી જઈએ એવું મારે નથી કરવું. જ્યારે મહિલા ઉમેદવાર પોતાના પરિવારની ઈચ્છા અને પોતે મેદાનમાં ઉતરી ચૂક્યા હોવાનું કહે છે ત્યારે દિનેશભાઈ વળતો જવાબ આપે છે કે, તમારો આખો પરિવાર અને સમાજ ઈચ્છે છે કે તમે મારી સાથે જોડાઈ જાવ. 'આપ'ના મહિલા ઉમેદવારનો મક્કમ નિર્ધારકથિત સંવાદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મક્કમ દેખાય છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એકવાર ડગલું માંડી દીધું છે એટલે હવે પાછળ હટવું યોગ્ય નથી. મારે કોઈ મુકાબલો નથી, પણ હવે પરિવારની ઈચ્છા છે કે હું ચૂંટણી લડું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેઠ અને પરિવારના અન્ય સભ્યોને પૂછ્યા વગર તેઓ કોઈ નિર્ણય લઈ શકે નહીં. અન્ય એક ઓડિયો ક્લિપમાં દિનેશ રાજપુરોહિત વોર્ડ નંબર 18ના મહિલા ઉમેદવારની દીકરીને સમજાવતા અને ધમકાવતા સંભળાય છે કે તેઓ સત્તામાં છે અને ગમે તે કરી શકે છે. તેઓ યુવતીને જણાવી રહ્યા છે કે, તેની માતા (AAP ઉમેદવાર) જેમના ભરોસે છે, એવા અનેક લોકો (ભરત કાકા, ગૌતમ કાકા વગેરે) ટૂંક સમયમાં પક્ષ છોડી દેશે અથવા ભાજપમાં જોડાઈ જશે. વાતચીતમાં લોન ઓછી કરવાની અને '7 રૂપિયા' (જે કદાચ મોટી રકમનો સંકેત હોઈ શકે) આપવાની લાલચ આપીને સામેથી ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજે દિવસે નિર્ણય લેવા ચેતવણી આપવામાં આવીદિનેશ રાજપુરોહિત એવું કહેતો સંભળાય છે કે, જ્યારે હું મુંબઈમાં ભાઈ ઠાકુરને હરાવી શકું છું, તો હું અહીં પણ જીતી શકું છું. યુવતીને નિર્ણય લેવા માટે બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ચેતવણી આપી છે કે, જો તેઓ સામેથી નહીં માને તો મજબૂરીમાં માનવું પડશે. ઓડિયો મુજબ ભાજપના ઉમેદવાર એવી પરિસ્થિતિ ઉભી કરવાનો દાવો કરી રહ્યા છે, જેમાં વિરોધ પક્ષના ઉમેદવારે નમતું જોખવું જ પડે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર સત્તાના જોરે ઉમેદવારોને ખરીદવાનો અને ડરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વોર્ડ-18માં દિનેશ રાજપુરોહિત ભાજપના જાણીતા ચહેરા છે, જ્યારે આમ આદમી પાર્ટી આ વખતે સુરતમાં મજબૂત પકડ જમાવવા પ્રયાસ કરી રહી છે. દિનેશ રાજપુરોહિત પર વોર્ડ-18ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ પટેલને બંધક બનાવવાનો પણ આક્ષેપ છે. આ સાથે જ આમ આદમી પાર્ટીનું ગુપ્ત આયોજન સ્થળે પણ દિનેશ પુરોહિત કાર લઈને ગયા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. 'વાયરલ ઓડિયો થયો છે તે મારો નથી'વાયરલ ઓડિયો બાબતે દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, કિરણબેન દિવાકર સાથે એમ જ વાતચીત થઈ હોઈ શકે છે પણ કોઈ પણ ખરીદવા બાબતની કોઈ વાતચીત થયેલી નથી મારી તેમની સાથે. વાયરલ ઓડિયો થયો છે તે મારો નથી. યોગેશ જાદવાણી (પ્રવક્તા,આમ આદમી પાર્ટી, ગુજરાત) એ જણાવ્યું હતું કે, દિનેશ રાજપુરોહિતે વોર્ડ નંબર 18ના મહિલા ઉમેદવાર કિરણ દીવાકરને લલચાવી ફોસલાવી અને ડરાવવવા સાથે જ રૂપિયાની ઓફર કરીને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ તેમની હાર પડી ગયા છે જેથી તેમને ખરીદવા પ્રયાસ કરી રહ્યા હતા. જોકે અમારા ઉમેદવાર મક્કમ રહ્યા છે અને તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું નથી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:14 pm

ભારત હોર્મુઝ મામલે અનેક દેશો સાથે સંપર્કમાં, ગલ્ફમાં ફસાયેલા ભારતીયો અંગે સરકારે આપી મોટી અપડેટ

Hormuz Strait Crisis Indian Sailors: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો અને જહાજોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અત્યાર સુધી હજારો નાવિકોને સફળતાપૂર્વક પરત લાવવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન 2337 નાવિકો પરત ફર્યા શિપિંગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે માહિતી આપી હતી કે, પર્સિયન ગલ્ફ વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો હાલ સુરક્ષિત છે.

ગુજરાત સમાચાર 15 Apr 2026 5:13 pm

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું

CBSE 10th Result 2026 Declared : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે કુલ 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રેકોર્ડ બ્રેક સમયમાં પુરુ કરીને લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ગુજરાત સમાચાર 15 Apr 2026 5:12 pm

કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવારોને ધમકાવવાનો આક્ષેપ:સુરેન્દ્રનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ભાજપ પર વિપક્ષી ઉમેદવારોને ડરાવી-ધમકાવી કે લાલચ આપી ભાજપમાં ભેળવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે જિલ્લા મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ન્યાયી ચૂંટણીની માંગ કરી છે. ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ પર બિનહરીફ થવા માટે અનૈતિક માર્ગો અપનાવી લોકશાહીનું હનન કરવાનો આરોપ લગાવ્યો છે. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝરણાંબેન જાની અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ વિપક્ષના ઉમેદવારોને ખરીદવા અથવા તેમને ડરાવી-ધમકાવી કેસ કરવાની બીક બતાવી ભાજપમાં ભેળવવાનો પ્રયાસ કરી રહી છે. સત્તાધારી પક્ષ 'સામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવી અનેક બેઠકો બિનહરીફ કરવાના પેંતરા રચી રહ્યો છે. આવેદનપત્રમાં તંત્ર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવાની અને વિપક્ષી ઉમેદવારોને કોઈપણ પ્રકારના દબાણ વગર ચૂંટણી લડવા માટે પૂરતું રક્ષણ પૂરું પાડવાની માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના આ આક્ષેપો બાદ હવે તંત્ર કેવા પગલાં લે છે અને ભાજપ આ મામલે શું વળતો પ્રહાર કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:03 pm

LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે? યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ

LPG Crisis in India: દુનિયાભરમાં મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગેસ અને તેલની સપ્લાય પર દેખાઈ રહી છે. ભારત તેની LPG ગેસની જરૂરિયાત માટે મોટાપાયે મિડિલ ઈસ્ટ પર નિર્ભર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર ખોરવાતા અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે એનર્જી સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અહેવાલો મુજબ, આ સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે. સપ્લાય સામાન્ય થવામાં 3-4 વર્ષ લાગશે

ગુજરાત સમાચાર 15 Apr 2026 5:01 pm

આ જોઈ લો, જયસ્વાલની વિદેશી GF:સુનીલ છેત્રીનો 'WHAT A CATCH'; સૂર્યકુમારનું કરિયર ખતરામાં!

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:55 pm

બનાસકાંઠામાં મતદાર જાગૃતિ માટે વહીવટી તંત્ર સક્રિય:SVEEP અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ અને સફળ બને તે માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાનો યોજાઈ રહ્યા છે. મતદાર જાગૃતિ અભિયાન (SVEEP - સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત રોજ પાલનપુર શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે નગરપાલિકા અને બસ સ્ટેશન વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો જિલ્લા પંચાયતના નોડલ અધિકારી ડૉ. એસ. ડી. જોષી અને SVEEP ટીમ દ્વારા બેનરો સાથે આયોજિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા મતદાર જાગૃતિ કાર્યક્રમના નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. વિનુભાઇ પટેલ દ્વારા પરિપત્ર જારી કરીને બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં આગામી 24 એપ્રિલ 2026 સુધી વિવિધ સ્પર્ધાઓ યોજવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસોથી વિસ્તારમાં મતદારોમાં જાગૃતિ વધે, તેઓ મતદાન પ્રત્યે પ્રેરિત થાય અને મોટી સંખ્યામાં મતદાન નોંધાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:47 pm

સુરતમાં લેઉવા પટેલ વોરા પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો:2000થી વધુ સભ્યો હાજર, શિક્ષણ, આરોગ્ય અને સંસ્કાર સિંચન પર ભાર

સુરતમાં ગત રવિવાર, 12 એપ્રિલ 2026ના રોજ સમસ્ત લેઉવા પટેલ વોરા પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરિવારના 2000 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારની સર્વાંગી પ્રગતિનો હતો. કાર્યક્રમમાં યુવાનો દ્વારા શિક્ષણ, આરોગ્ય અને નોકરી-ધંધા જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. આધુનિક યુગમાં પરિવારના સભ્યો આર્થિક અને સામાજિક રીતે પગભર બને તે માટે માર્ગદર્શન અપાયું હતું. આ સ્નેહમિલન વડીલોનું સન્માન જાળવવા અને નવી પેઢીમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી આયોજિત કરાયું હતું. પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા, જેમાં બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાની ભાવના પ્રબળ બને તેવા સંકલ્પો લેવાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્નેહભોજન લીધું હતું. આયોજક સમિતિ, સમસ્ત લેઉવા પટેલ વોરા પરિવાર - સુરત દ્વારા જણાવાયું હતું કે, આ સ્નેહમિલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ પરિવારની એકતા અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. શિસ્તબદ્ધ આયોજન અને પરિવારના સહયોગથી આ સ્નેહમિલન સમારોહ સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:46 pm

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે 114 ઉમેદવારો મેદાનમાં:3 વોર્ડમાં ત્રિપાંખિયો જંગ; જુઓ તમામ વોર્ડના ઉમેદવારોની ફાઈનલ યાદી

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે હવે 114 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો નક્કી થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પાટણ જિલ્લામાં તેજ બની છે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે અગાઉ 137 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન 19 ઉમેદવારી પત્રો ટેકનિકલ કારણોસર અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા, જેથી માન્ય ઉમેદવારી પત્રોની સંખ્યા 115 પર પહોંચી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક અપક્ષ ઉમેદવારે પોતાનું નામ પરત ખેંચતા, હવે કુલ 114 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે. આ સાથે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 3, 8 અને 9 માં મુખ્ય પક્ષો અને અપક્ષો વચ્ચે કાંટાની ટક્કર થવાના સંકેતો મળી રહ્યા છે. આ વોર્ડમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વોર્ડ-1ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-2ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-3ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-4ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-5ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-6 ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-7ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-8ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-9ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-10ના ફાઈનલ ઉમેદવારો વોર્ડ-11ના ફાઈનલ ઉમેદવારો

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:45 pm

વડોદરાના ઈસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ:ઉપરના માળે લાગેલી આગથી અફરાતફરી, 10થી વધુ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે; ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તાર ગોત્રી રોડ પર આવેલા ઈસ્કોન હાઇટ્સ ફ્લેટમાં મંગળવારે ભીષણ આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. આગ બિલ્ડિંગના સૌથી ઉપરના માળે લાગતાં રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. હાલ સુધી પાંચથી વધુ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગની જ્વાળાઓ ઉપરના માળેથી ઝડપથી ફેલાતી જોવા મળી હતી. બિલ્ડિંગમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. હાલ સુધીની માહિતી મુજબ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ ન્યૂઝ અમે અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:44 pm

વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ આઈસ્ક્રીમનું વિતરણ:બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના 479 બાળકોએ ઉત્સાહપૂર્વક આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ છે. આ પ્રસંગે ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શાળાના કુલ 479 બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું. શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. તેમણે ધોરણ સાતના વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકોએ પણ ધોરણ 7ના વિદ્યાર્થીઓની આ પહેલને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, શાળાના બાળકોને વેકેશન શરૂ થાય ત્યાં સુધી મધ્યાહન ભોજન માટે શાળામાં જમવા આવવા સૂચના આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:42 pm

અમદાવાદમાં મંગલ નવકાર ટ્રસ્ટ દ્વારા:ગરમીમાં લારી-રેકડીવાળાને 300 છત્રીનું વિતરણ કરાયું

અમદાવાદમાં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા ગરમીમાં રાહત આપવા માટે એક અનોખો સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રસ્તા પર રોજીંદી કમાણી કરતા લારી-રેકડીવાળા, શાકભાજી અને ચા વેચનાર સહિતના નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ પરિવાર, વાલકેશ્વર (મુંબઈ)ના સહયોગથી આશરે 300 છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ આચાર્યદેવ વીતરાગયશસૂરીશ્વરજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી મણિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રાંગણમાં યોજાયું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રફુલભાઈ અને જતીનભાઈ તેમજ સંઘના અગ્રણી સભ્યોના હસ્તે છત્રીઓનું વિતરણ કરાયું હતું. આ અવસરે સંઘ દ્વારા ટ્રસ્ટના ટ્રસ્ટી વીરુભાઈ અલગોતર અને તેમની ટીમની સેવાકીય પ્રવૃત્તિઓની અનુમોદના કરવામાં આવી હતી. છત્રી વિતરણની સાથે સાથે, પક્ષીઓ માટે 300 માટીના પાણીના કુંડા અને 100 પ્લાસ્ટિક ચણ ટાવરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અમદાવાદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે શેરડીના રસનું વિનામૂલ્ય વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા જીવદયા રથ પ્રોજેક્ટ હેઠળ દરરોજ અંદાજે 250 થી 300 કિલો શાકભાજીનો કચરો ગાયો સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, પહેલી રોટલી ગાયની અભિયાન અંતર્ગત દરરોજ 5000 જેટલી રોટલી ગાયોને ખવડાવવામાં આવે છે. પક્ષીઓ માટે 50 થી 60 કિલો ચણ અને કીડી-મકોડા તથા માછલીઓ માટે 15 થી 20 કિલો લોટનું પણ વિતરણ કરવામાં આવે છે, જેથી કોઈ જીવ ભૂખ્યો ન રહે. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આચાર્યના 50મા વર્ષ નિમિત્તે 50,000 ચોપડાઓના વિનામૂલ્ય વિતરણની પણ જાહેરાત કરવામાં આવી હતી. આવા સેવાકીય કાર્યમાં જોડાવા અથવા દાન આપવા ઈચ્છુક લોકો મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ, ગોપાલ આવાસ, પ્રેરણા તીર્થ દેરાસર રોડ, સેટેલાઈટ, અમદાવાદ ખાતે સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:37 pm

ભરૂચમાં વોર્ડ-4ના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું:કચેરીમાં ધમાલ, પોલીસ સામે નારાબાજી અને ખેંચતાણ

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. મનીષ જાદવે ફોર્મ પાછું ખેંચ્યા બાદ કોંગ્રેસના આગેવાનોને કચેરીમાં પ્રવેશ ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો હતો. આના કારણે સરકારી કચેરીમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા, જેના પગલે કોંગ્રેસના આગેવાનોએ પોલીસ વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. આ ઘટના દરમિયાન, પોલીસે ટેકેદારને બદલે અન્ય લોકોને પ્રવેશ આપ્યો હોવાના આક્ષેપો સાથે મામલો વધુ વણસ્યો હતો. કચેરી પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બાદમાં ઉમેદવાર મનીષ જાદવે પોલીસ સુરક્ષાની માંગણી કરતા, પોલીસે તેમને બાઇક પર તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા. નોંધનીય છે કે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના આજના દિવસે કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના કુલ બે ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતા. આ ઘટનાક્રમથી ભરૂચ પાલિકા ચૂંટણીમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:31 pm

ઘરઘાટી મહિલાએ 1.75 લાખની ડાયંમડની બુટ્ટી ચોરી:નોકરી પર લાગી તે દિવસે જ ધાડ પાડી, વેજલપુરમાંથી મહિલા ચોરની ધરપકડ

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી એક મહિલાને ઘરઘાટી રાખવુ ભારે પડ્યુ છે. ઘરઘાટી મહિલાએ માત્ર અડધા દિવસમાં 1.75 લાખ રૂપિયાની ડાયમંડની બુટ્ટી ચોરીને ફરાર થઈ ગઈ છે. જે દિવસે મહિલા નોકરી પર લાગી તેજ દિવસે ચોરી કરી છે. પોલીસે ચોરી કરનાર મહિલાની ધરપકડ કરી છે. ઘરઘાટી મહિલાએ ડાયંમડની બુટ્ટી ચોરી બોડકદેવ વિસ્તારમાં આવેલા જ્યુપીટર ટાવરમાં રહેતી વિનીશા દેવજાનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નર્મદા ડામોર નામની ઘરઘાટી વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. વિનીશાએ નર્મદાને ચાર દિવસ પહેલા કામ ઉપર રાખી હતી. 10 એપ્રિલના રોજ વિનીશાએ તેના કાનમાં પહેલી 1.75 લાખ રૂપિયાની ડાયમંડની બુટ્ટી રાતે સુતા પહેલા કાઢીને ડ્રોવરમાં મુકી દીધી હતી. 11 એપ્રિલના રોજ વિનીશાએ નર્મદાને કામ ઉપર રાખી હતી. બપોરે નર્મદા ઘરકામ કરીને પરત જતી રહી હતી. ડ્રોવર ખોલ્યુ તો તેમા બુટ્ટી ગાયબ હતીબપોર બાદ નર્મદા ઘરકામ કરવા માટે નહી આવતા વિનીશાએ તેને ફોન કર્યો હતો. નર્મદાનો ફોન સ્વીચઓફ આવતાની સાથેજ વિનીશાને શંકા ગઈ હતી. વિનીશાએ ડ્રોવર ખોલ્યુ તો તેમા બુટ્ટી ગાયબ હતી. રાતે નર્મદા કામ ઉપર પર ના હતી અને તેનો ફોન પણ બંધ આવતો હતો. વિનીશાને ખાતરી થઈ ગઈ હતીકે ડાયમંડની ચોરી નર્મદાએ કરી છે.પોલીસે વિનીશાની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધ્યો હતો. વેજલપુરમાંથી મહિલા ચોરની ધરપકડવસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં નર્મદા આવતા જતા દેખાઈ રહી હતી.પોલીસે અલગ અલગ ટીમ બનાવી વેજલપુરમાંથી આરોપી નર્મદા ડામોરની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં નર્મદા પહેલા દિવસે જ કામ કરવા આવી હતી અને પહેલા દિવસે જ મોજશોખ માટે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:19 pm

વડોદરામાં ડમ્પરમાં ફસાયેલા ચાલકનું દિલધડક રેસ્ક્યૂ, VIDEO:JCB મશીનથી કેબિન કાપીને સ્થાનિકોએ જીવતો બહાર કાઢ્યો, ટ્રક અને ડમ્પર વચ્ચે થયો હતો અકસ્માત

વડોદરા જિલ્લાના સાવલી-સાંકરદા રોડ પર આવેલા સામંતપુરા ગામ પાસે બે ભારેખમ વાહનો વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે. ટ્રક અને હાઈવા ડમ્પર સામસામે અથડાતા સર્જાયેલા આ અકસ્માતમાં ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં ચાલક ગંભીર રીતે ફસાઈ ગયો હતો. કેબિનમાં ડમ્પરચાલકનો પગ ફસાઈ જતા જીવ અધ્ધરઆ અકસ્માત એટલો ભયાનક હતો કે, ડમ્પર ચાલકનો પગ કેબિનના પતરામાં દબાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ચાલકને બહાર કાઢવો મુશ્કેલ જણાતા સ્થાનિકોએ જેસીબી (JCB) મશીનની મદદ લીધી હતી. જેસીબી દ્વારા કેબિનના ભાગને કાપીને અને ખેંચીને ભારે જહેમત બાદ ચાલકનો ફસાયેલો પગ મુક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ JCBની મદદ લઈને ચાલકનું સહી-સલામત રેસ્ક્યૂ કર્યુંસ્થાનિકોના આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને કારણે ડમ્પર ચાલકનો જીવ બચાવી શકાયો છે. આ અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવવાની સાથે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:12 pm

બનાસકાંઠા LCB એ વાહનચોરને ઝડપ્યો:પાલનપુર હાઈવે પરથી ચોરાયેલ મોટરસાયકલ સાથે રાજસ્થાની આરોપી પકડાયો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાલનપુર શહેરના ડીસા હાઈવે પરથી ચોરાયેલ મોટરસાયકલ સાથે રાજસ્થાનના એક રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી અગાઉ ત્રણ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ધાનેરા જેવા વિસ્તારોમાં વાહનચોરીના બનાવોમાં વધારો થતાં, પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) એ LCB ને સક્રિય થવા સૂચના આપી હતી. વાહનચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે LCB ની પાંચ ટીમો બનાવવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજાના નેતૃત્વ હેઠળ ટીમો કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી અને કનકસિંહ રાજેન્દ્રસિંહની ટીમને મળેલી બાતમીના આધારે ભીમારામ મોવારામ ગમેતી (રહે. ભુલા, તા. રોહીડા, જિ. સિરોહી, રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી GJ.08.BL.5487 નંબરનું હીરો HF ડીલક્સ મોટરસાયકલ મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોટરસાયકલ મયંકકુમાર કનુભાઈ પ્રજાપતિ (રહે. લુણવા, તા. પાલનપુર) ની માલિકીનું હતું અને આરોપીએ તેની ચોરી કરી હતી. ચોરાયેલ મોટરસાયકલની કિંમત ₹35,000 આંકવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના વતની છે અને છૂટક મજૂરી કામ માટે પાલનપુર તથા આસપાસના વિસ્તારોમાં આવે છે. મજૂરી કરીને પરત ફરતી વખતે તેઓ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને મોટરસાયકલ ચોરી કરે છે. ચોરાયેલા વાહનોને તેઓ પોતાના વતનમાં લઈ જઈને પોતાની જ્ઞાતિના લોકોને ઓછી કિંમતે વેચી દે છે. આ ગુનામાં પકડાયેલ આરોપી ભીમારામ મોવારામ ગમેતી (રહે. ભુલા, તા. રોહીડા, જિ. સિરોહી, રાજસ્થાન) છે. આ ઉપરાંત, રમેશ ઉર્ફ રોમી રાણારામ ગમેતી અને દિનેશ લાડુમહારાજ ગમેતી (બંને રહે. ભુલા, તા. રોહીડા, જિ. સિરોહી, રાજસ્થાન) વોન્ટેડ જાહેર કરાયા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:11 pm

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પાસે 2 કિલો 400 ગ્રામ સોનું:રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવાર

રાજકોટ માહનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોની ચિત્ર ફાઈનલ થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામા પોતાની મિલકત, કેસ, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોંગદાનામાની વિગત મુજબ ભાજપ-કોંગ્રેસના 4-4 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે સૌથી વધુ 40 કરોડની સંપતિ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ 17 કરોડની મિલકત દર્શાવી છે. કોંગ્રેસના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા 5 કારના માલિકરાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર હિતેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના ઉમેદવારી પત્રકમાં રજૂ કરેલ સોગંદનામામાં કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. હિતેન્દ્રસિંહ ચુડાસમા પાસે 2,36,18,700ની મિલ્કત દર્શાવી છે જેમાં 1.65 કરોડની માત્ર જમીન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની પાસે રોકડ અને બેન્ક બેલેન્સ કુલ 4.24 લાખ, બેન્ક ડિપોઝીટ 5.76 લાખ તેમજ શેર અને મ્યુચ્યુલ ફંડમાં 10.07 લાખનું રોકાણ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની પાસે કુલ 5 જેટલી મોટર કાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિતેન્દ્રસિંહ ચુડાસમાની સ્થાવર મિલ્કત અંગે વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદમાં 1.65 કરોડની ખેતીની જમીન, રૈયા વિસ્તારમાં 35 લાખની દુકાન, શાસ્ત્રીનગરમાં એપાર્ટમેન્ટ અને આણંદ વલ્લભ વિદ્યાનગરમાં ફ્લેટ મળી કુલ 2.36 કરોડથી વધુની થાય છે. ભાજપના નરેન્દ્રસિંહ ચુડાસમા સૌથી ધનવાન ઉમેદવારસતત બીજી ટર્મમાં ચૂંટણી લડનારા રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.3ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે હાથ ઉપર 6.78 લાખની રોકડ છે. તેમના કરતા તેમના ધર્મપત્ની પાસે વધુ 16 લાખની રોકડ રકમ છે. જ્યારે બેન્ક બેલેન્સમાં નરેન્દ્રસિંહ પાસે 18.70 લાખની બેન્ક બેલેન્સ હોવાનું સામે આવ્યું છે. જમીનો, ફ્લેટ, પ્લોટસ સહિતની મિલકતો મળી કુલ 40 કરોડની સંપત્તિ હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. નરેન્દ્રસિંહ જાડેજા ઉપર 2.84 લાખની બેન્કલોન હોવાનું સામે આવ્યું છે. જયારે તેમના પત્ની પાસે ઝવેરાતમાં 555 ગ્રામ એટલે કે 50.5 તોલા સોનું અને 1025 ગ્રામ ચાંદી હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિરેન ખીમાણીયા પાસે 12 ટ્રક અને 4 લકઝરી કારરાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નં.14માંથી ઉમેદવારી નોંધાવનાર હિરેન ખીમાણીયા પાસે હાથ ઉપર 30.29 લાખની રોકડ, 90 લાખ જેવી બેન્ક બેલેન્સ અને 21.38 કરોડ જેવી જમીન-પ્લોટ સહિતની મિલકતો હોવાનું સામે આવ્યું છે. જયારે પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોવાથી 12 ટ્રક ધરાવતા હોવાનું અને પોતાની ત્રણ મોંઘેરી કાર પણ હોવાનો ઉલ્લેખ સોગંદનામાંની અંદર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે 76.30 લાખનું 545 ગ્રામ સોનુ છે. ભાઈ રવીન્દ્ર જાડેજા સાથે જોઈન્ટમાં 5.75 કરોડની FD સહિત નયનાબા પાસે 17 કરોડની સંપત્તિઆ ઉપરાંત વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પાસે 17 કરોડથી વધુની મિકલત હોવાનું સામે આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષીસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલો છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે. ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો હિસ્સો છે. મ્યુચ્યુઅલ ફંડમાં 60 લાખથી વધુનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. જયારે ઝવેરાતમાં 200 ગ્રામ એટલે કે 20 તોલા સોનું હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવલાલ બારસિયા આપના સૌથી ધનવાન ઉમેદવારરાજકોટ શહેરમાં સતત બીજી વખત આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડતા પૂર્વ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા પાસે 8.37 લાખની રોકડ, 49.59 લાખની બેન્ક બેલેન્સ અને 17.76 કરોડથી વધુની જમીન-પ્લોટસ સહિતની મિલકતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિવલાલભાઈ કરતા તેમના પત્ની પાસે રોકડ બમણી અને બેન્ક ખાતામાં પણ દોઢા રૂપિયા હોવાનું સોગંદનામાની અંદર દર્શાવવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા લઇ ઉમેદવારની જાહેરાત સુધી ચર્ચામાં રહેલા એક માત્ર ઉમેદવાર એટલે ઘનશ્યામ હેરભા જેઓએ પોતાની પાસે 10.56 લાખની રોકડ, 1.31 લાખ બેન્ક બેલેન્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમીન-પ્લોટ મળી કુલ 16.83 કરોડથી વધુની મિલકતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમના પત્નીના નામ પર 6.83 કરોડની પ્રોપર્ટી છે અને 517 ગ્રામ સોનુ હોવાનો ઉલ્લેખ સોગંદનામાની અંદર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેમના વિરુધ્ધ ગુના પણ નોંધાઈ ચુક્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ પાસે 1.52 કરોડની ખેતીની જમીન અને ઓફિસ સહિતની મિલકત છે જયારે હાથ ઉપર 1.80 કરોડ રોકડા, બેન્કમાં 1.78 કરોડની સિલક, 83.35 લાખની લોન હોવાનું પોતાના સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભૂતકાળમાં તેમના વિરુધ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે કોંગ્રસ વોર્ડ નંબર 3ના ઉમેદવાર અતુલભાઈ રાજાણી પાસે કુલ 8,58 કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે. જેમાં જંગમ મિલકત રોકડ રકમ, બેંક બેલેન્સ અને શેરબજારમાં રોકાણ મળી કુલ 1.81 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. જયારે ખેતીની જમીન અને વ્યવસાયિક મકાનો સહિત કુલ 6,77,39,771ની મિલ્કતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમના ઉપર એક પેન્ડિંગ ગુનાહિત કેસ હોવાનો પણ ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. વશરામ સાગઠિયા પાસે 2 કિલો 400 ગ્રામ સોનુંરાજકોટ મનપાના પૂર્વ વિપક્ષીનેતા અને વોર્ડ નં.15ના ઉમેદવાર વશરામ સાગઠીયા પાસે હાથ ઉપર 57.95 લાખની રોકડ છે. જ્યારે બેન્ક બેલેન્સમાં તેમની પાસે 16.91 લાખથી વધુ બેન્ક બેલેન્સ હોવાનું સામે આવ્યું છે. જમીનો, ફ્લેટ, પ્લોટસ સહિતની મિલકતો મળી કુલ 1.60 કરોડની સંપત્તિ હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. જયારે તેમના પાસે ઝવેરાતમાં સૌથી વધુ 2400 ગ્રામ એટલે કે 2.40 કિલો સોનું અને હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:10 pm

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમરેલીમાં:ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પ્રચારનો પ્રારંભ, કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તે દિવસે અમરેલી જિલ્લાની મુલાકાતે હતા. તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમરેલી જિલ્લામાં 6 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેને લઈને ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખે સવારે 9 વાગ્યે અમરેલી શહેરના ચિતલ રોડ પર આવેલા શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ અમિતભાઈ રાજપરાના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ત્યારબાદ 9:30 વાગ્યે હીરામોતી ચોક સ્થિત પટેલ સમાજની વાડી ખાતે અમરેલી શહેરના વોર્ડ નં. 6 ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. આ પછી, તેઓએ અમરેલી શહેરની લોર્ડ્સ હોટલમાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. સવારે 10:30 વાગ્યે સલડી ગામ સમસ્ત રોડ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે, જગદીશ વિશ્વકર્મા લીલીયા તાલુકાની લીલીયા અને ક્રાકચ જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તાઓ, મતદારો અને આગેવાનો સાથે વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12:50 વાગ્યે લીલીયાના અકાળા ગ્રામજનો દ્વારા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું હતું. બપોરે 1 વાગ્યે લાઠીના દામનગર, લાઠી અને બાબરા વિસ્તારના કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો સાથે લાઠીમાં કડવા પટેલ સમાજની વાડી ખાતે વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. ત્યારબાદ બપોરે 2:15 વાગ્યે તેઓએ લાઠીના ભુરખિયા હનુમાનના દર્શન કર્યા હતા અને બુથ પ્રમુખ ચિરાગભાઈ પરમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જે.વી. કાકડિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 4:07 pm

ખંભાળિયા નગરપાલિકામાં મોહિત મોટાનીની પેનલ બિનહરીફ:ભાજપના વ્યૂહાત્મક માસ્ટર પ્લાનનું પરિણામ

ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક મોટી સફળતા નોંધાઈ છે. મોહિત મોટાનીની આગેવાની હેઠળની ભાજપની એક પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આ જીતને ભાજપના વ્યૂહાત્મક માસ્ટર પ્લાનનું પરિણામ માનવામાં આવે છે. આ બિનહરીફ વિજય ભાજપ માટે નોંધપાત્ર રાજકીય બળ અને સંગઠનાત્મક એકતાનું પ્રતીક છે. આ સફળતાને કારણે પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ પ્રમુખ મિલન જોશીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ મજબૂત સંગઠન અને વિકાસના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતર્યું છે. તેમણે આ વખતે ઐતિહાસિક જીત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોશીએ વધુમાં ઉમેર્યું કે, દરેક વોર્ડમાં માઇક્રો લેવલ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. બૂથ લેવલ મેનેજમેન્ટને મજબૂત બનાવવામાં આવ્યું છે અને ઘર-ઘર સંપર્ક અભિયાન દ્વારા સરકારના વિકાસ કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:58 pm

રામેશ્વરકંપામાં રામદેવ ભક્તિ માનસ કથાનો પ્રારંભ:મોડાસા તાલુકામાં 25 એપ્રિલથી કથાનું આયોજન

મોડાસા તાલુકાના રામેશ્વરકંપા ખાતે 'અલખના ઓટલે શ્રી રામદેવ ભક્તિ માનસ કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ 25 એપ્રિલ, 2026ના રોજ થશે. આ આધ્યાત્મિક મહોત્સવ 25 એપ્રિલ, 2026 (સંવત 2082, વૈશાખ સુદ-9, શનિવાર) થી શરૂ થઈને 01 મે, 2026 (સંવત 2082, વૈશાખ સુદ-પૂનમ, શુક્રવાર) ના રોજ સમાપ્ત થશે. 'અલખનો ઓટલો સેવા ટ્રસ્ટ' દ્વારા આ કથાનું આયોજન કરાયું છે. પ્રકાશ બાપુ (રામેશ્વરકંપા)ને તેમના ગુરુદેવની પ્રેરણાથી આ કથાનો વિચાર આવ્યો હતો. આ કથાના મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી બિરાજશે. તેઓ પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને રામદેવ ભક્તિના મહિમાનું રસપાન કરાવશે. તેમની સાથે પ.પૂ. મહંત શ્રી રુતિકા દીદી (ગુરુશ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રી બાપુ) પણ ઉપસ્થિત રહેશે. કથાના પ્રથમ દિવસે સવારે 8:00 થી 11:30 કલાક દરમિયાન મંગલ ગાન થશે. સમાપન દિવસે બપોરે 3:00 થી 5:30 કલાકે કથાનો વિરામ થશે. તાલુકા અને જિલ્લા સહિતના ભક્તોને રામદેવજી ભગવાનની આ કથા શ્રવણનો લ્હાવો લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથાનું જીવંત પ્રસારણ યુટ્યુબ ચેનલ 'Radhekrishnabapu official' પર પણ નિહાળી શકાશે. ટ્રસ્ટના સભ્યો નિલેશ એસ. રામાણી, અશોક એમ. વેલાણી, ધીરજભાઈ એન. પોકાર, નટુભાઈ આર. પોકાર, ભુપેશભાઈ પી. પોકાર અને ચંદુભાઈ એન. પોકાર સહિતના આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:49 pm

સુરેન્દ્રનગર LCBએ 8 ગુના આચરનાર ગેંગ ઝડપી:મધ્યપ્રદેશની કડિયા ગેંગની બે મહિલા આરોપી પકડાઈ

સુરેન્દ્રનગર LCBએ બેંક ઓફ બરોડા બહારથી રૂપિયા 3 લાખની ચોરી કરનાર મધ્યપ્રદેશની કડિયા ગેંગની બે મહિલા આરોપીઓને ઝડપી પાડી છે. આ મહિલાઓએ આધેડની નજર ચૂકવી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગઈ હતી. પોલીસે મહારાષ્ટ્રના ધૂળે ખાતેથી આ બંને મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને શોધી કાઢી હતી. આ ગેંગ બેંક અને ભીડવાળી જગ્યાએ રેકી કરીને લોકોના રૂપિયાની ઉઠાંતરી કરતી હતી અને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ જતી હતી. ઝડપાયેલી મહિલાઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મહિલાઓ દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પાંચ ગુનાઓમાં સંડોવાયેલી છે. ગુજરાતમાં પણ તેમણે બાલાસિનોર, ખંભાત, ધોળકા, કડી, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગરમાં કુલ આઠ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. ઝડપાયેલી મહિલા આરોપીઓના નામ લલિતાબેન સાકા ભારત સિસોદિયા અને બબલી પ્રતાપ માતાદી સિસોદિયા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:47 pm

અમરનાથ યાત્રા 2026નું રજિસ્ટ્રેશન શરૂ:જામનગરમાં દૈનિક 36 યાત્રીઓની મર્યાદા, પ્રથમ 3 દિવસ ફુલ

અમરનાથ યાત્રા 2026 માટે જામનગરમાં 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ખંભાળિયા ગેટ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં ઓફલાઇન નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દૈનિક 36 યાત્રીઓની મર્યાદા સાથે નોંધણી કરવામાં આવી રહી છે. બેંક દ્વારા દરરોજ કુલ 36 યાત્રીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. આમાં બાલતાલ રૂટ માટે 18 અને પહેલગામ રૂટ માટે 18 યાત્રીઓની મર્યાદા નક્કી કરાઈ છે. રજિસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ પ્રથમ ત્રણ દિવસનો ક્વોટા સંપૂર્ણ ભરાઈ ગયો છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા દરેક યાત્રી માટે જી.જી. હોસ્પિટલ ખાતેથી આરોગ્ય ચકાસણી કરાવી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. આ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ બેંક દ્વારા અધિકૃત પરમિટ આપવામાં આવે છે. યાત્રીઓની સુવિધા માટે બેંક તંત્ર દ્વારા પીવાના પાણી અને બેસવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રદ્ધાળુઓ ઓનલાઈન પોર્ટલ અથવા બેંકની નિર્ધારિત શાખાઓ પરથી ઓફલાઈન માધ્યમ દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે. બેંક સત્તાધીશો દ્વારા યાત્રાએ જવા ઈચ્છતા ભક્તોને વહેલી તકે મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:39 pm

પાટણમાં કોંગ્રેસે 3 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા:શહેર કોંગ્રેસ પ્રમુખનો 'સામ, દામ, દંડ'ની નીતિ અપનાવી ભાજપ પર ફોર્મ ખેંચાવવા દબાણ કરવાનો આક્ષેપ મૂક્યો

પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોને ડરાવવા અને ફોર્મ પાછા ખેંચાવવા માટે સામાજિક દબાણ લાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ આક્ષેપો વચ્ચે કોંગ્રેસે પોતાના ત્રણ મજબૂત ઉમેદવારોને સુરક્ષિત અને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ચૂંટણીમાં મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે. જોકે, ભાજપ દ્વારા 'સામ, દામ, દંડ'ની નીતિ અપનાવીને આ ઉમેદવારોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપ સામાજિક સમીકરણોનો હવાલો આપીને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા દબાણ કરી રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પટેલે વધુમાં જણાવ્યું કે, ભાજપની આ નીતિઓ અને દબાણને કારણે વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11ના મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાની કોંગ્રેસને ફરજ પડી છે. ભાજપ દ્વારા 'લેતી-દેતી'ની વાતો અને 'અમુક સમાજ ભાજપ સાથે જ વળેલો છે' તેવું દબાણ ઊભું કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સમાજ કોઈ ચોક્કસ પક્ષ સાથે બંધાયેલો હોતો નથી. દરેક વ્યક્તિ પોતાની વિચારધારા મુજબ જોડાયેલી હોય છે. કોંગ્રેસ વિચારધારા આધારિત પક્ષ હોવાથી તેમના કાર્યકરો મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે લોકશાહીના મૂલ્યો જાળવીને મેદાનમાં સામ-સામે લડત આપવા પર ભાર મૂક્યો, દબાણથી ફોર્મ ખેંચાવવાની રાજનીતિને અયોગ્ય ગણાવી. અજ્ઞાત સ્થળે મોકલેલા આ ત્રણ ઉમેદવારોને ક્યારે પરત લાવવામાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો સમય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવશે. ફોર્મ ખેંચવાની સમયમર્યાદા પૂરી થયા બાદ જ આ ઉમેદવારોને પરત લાવીને ચૂંટણી પ્રચારના કાર્યમાં જોડવામાં આવશે. અજ્ઞાત સ્થળે રાખવામાં આવેલ કોંગ્રેસના ઉમેદવારોના નામ: વોર્ડ નંબર 2: આરતીબેન જયદીપભાઈ પ્રજાપતિ વોર્ડ નંબર 9: શુભદ્રાબેન તરુણભાઈ મોદી વોર્ડ નંબર 11: દિનેશભાઇ નરોત્તમભાઈ પટેલ

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:39 pm

'જનતા સાથે છે, દબાણની જરૂર જ નથી':કોંગ્રેસના આરોપોને ભાજપ પ્રવક્તાએ ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું- 'સહાનુભૂતિ મેળવવા માટે ખોટી વાર્તાઓ ઉભી કરાઈ છે'

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય તાપમાન વધ્યું છે ત્યારે ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે બિનહરીફ જીતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સહાનુભૂતિ મેળવવા માટે ખોટી વાર્તાઓ ઉભી કરવાની કોશિશ થઈ રહી છે પરંતુ, ભાજપાને મળતું જનસમર્થન જ દર્શાવે છે કે પક્ષને કોઈ ઉમેદવારને મનાવવાની જરૂર નથી. કોંગ્રેસ ઉમેદવારે જાહેરમાં સ્વીકાર્યું કે, પાર્ટીએ દબાણ કરીને ફોર્મ ભરાવ્યું હતુંતેમણે કોંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા અને તથ્યહીન ગણાવતા કહ્યું કે, “જનતા સંપૂર્ણપણે ભાજપા સાથે છે. કોંગ્રેસની પરંપરાગત રાજકીય રીતો જ આ પ્રકારના આરોપોનું મૂળ છે.” ડૉ. પટેલે વડોદરા શહેરના વોર્ડ નં. 11નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈએ સવારે 11:05 વાગ્યે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ ચૂંટણી લડવા ઇચ્છતા નહોતા પરંતુ, પાર્ટી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, આવા અનેક ઉદાહરણો રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ચૂંટણી પ્રચાર સામગ્રીનું નિદર્શન યોજાયું હતું. ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના મુદ્દાઓના આધારે ભાજપા ચૂંટણી પ્રચારમાં અગ્રેસર છે અને જનતા તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી પાર્ટીને વિજય અપાવશેતેમણે જણાવ્યું કે, ભાજપાનું પ્રચાર અભિયાન ત્રણ તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં હાલ બીજો તબક્કો ચાલુ છે. ડોર ટુ ડોર જનસંપર્ક, ડિજિટલ પ્રચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના વિકાસકાર્યો અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભાજપા દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેમાં પત્રિકાઓ, બેનરો અને કમળના નિશાન સાથેની વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સામગ્રીનો ઉપયોગ રાજ્યભરમાં પ્રચાર અભિયાનને વધુ ગતિ આપવા માટે કરવામાં આવશે. અંતમાં ડૉ. અનિલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના રિપોર્ટ કાર્ડના આધારે ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપાને આશીર્વાદ આપશે અને ભવ્ય વિજય અપાવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:39 pm

GCAS પોર્ટલ સામે ABVPનો મોરચો, એક લાખથી વધુ વિદ્યાર્થીઓ વંચિત:પ્રાઇવેટ યુનિ.માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ વિદ્યાર્થીઓને એડમિશનનો આક્ષેપ

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ પ્રવેશ પ્રક્રિયા અંગે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા GCAS પોર્ટલની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ABVPના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા, જે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરે છે. વધુમાં, પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો છે. 'પ્રાઇવેટ યુનિ.માં GCAS પોર્ટલ લાગુ નથી, તેથી પ્રવેશ પ્રક્રિયામાં અસમાનતા'ABVPએ વધુમાં જણાવ્યું કે, ખાનગી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ લાગુ પડતું નથી, જેના કારણે પ્રવેશ પ્રક્રિયામાં અસમાનતા ઉભી થઈ રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ABVP હવે રાજ્યના દરેક જિલ્લામાં GCAS પોર્ટલ અંગે જાગૃતિ ફેલાવવાનું આયોજન કરી રહ્યું છે. આવનારા દિવસોમાં દરેક જિલ્લા કેન્દ્રો પર GCAS પોર્ટલની ખામીઓ સામે વિરોધ કાર્યક્રમો યોજાશે. સાથે જ, સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા અંગે પણ ABVP મેદાનમાં ઉતરશે. કોલેજો બહાર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારીABVPએ દાવો કર્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષથી GCAS પોર્ટલ લાગુ પડ્યું નથી. વિદ્યાર્થીઓના હિત માટે ABVP રાજ્યભરમાં ધરણા અને દેખાવો યોજશે અને જરૂર પડે તો તમામ કોલેજો બહાર વિરોધ પ્રદર્શન પણ કરશે. અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપશે. આ અંગે ABVP ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકાર્ય નહીં હોય અને સંસ્થા આ મુદ્દે અંત સુધી લડત આપશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:35 pm

જામનગરની પીઠડ બેઠક પર ભાજપના મયુરીબેન બિનહરીફ:વિરોધ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, અંતિમ ક્ષણે રાજકીય સમીકરણો બદલાયા

જામનગર જિલ્લા પંચાયતની પીઠડ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિરોધ પક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેતા ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હતો. આ બેઠક પર ચૂંટણી જંગ જામશે તેવી અટકળો હતી, પરંતુ અંતિમ ક્ષણે રાજકીય સમીકરણો બદલાયા. કોંગ્રેસના ઉમેદવાર મીનાબા લખધીરસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ્લાબેન અઘેરાએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. પીઠડ બેઠકને બિનહરીફ બનાવવામાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને ધરમશી ચનિયારાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની કુશળ રણનીતિ અને સ્થાનિક સ્તરે કરેલા સંકલનના પરિણામે વિપક્ષી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આ રાજકીય ઘટનાક્રમને ભાજપનું સફળ 'ઓપરેશન' માનવામાં આવી રહ્યું છે. મયુરીબેન ગોધાણી બિનહરીફ જાહેર થતા જામનગર જિલ્લા ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:35 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ પર દબાણ અને ધમકીના આરોપ:AAP નેતા સાગર રબારીએ લગાવ્યા ગંભીર આરોપ, ઉમેદવારોને ચૂંટણી ન લડવા ધમકી-લાલચ અપાઈ રહી છે

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. AAP નેતા સાગર રબારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં હારનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ ઉમેદવારોને ડરાવી, ધમકાવી અને લાલચ આપી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીને મળતા વધતા જનસમર્થનને કારણે ભાજપ બોખલાઈ ગઈ છે અને AAPના ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેમજ ખોટા કેસોમાં ફસાવવાની રાજનીતિ થઈ રહી છે. પોલીસ અને તંત્રના માધ્યમથી ઉમેદવારોને દબાણસાગર રબારીએ આરોપ લગાવ્યો કે, ભાજપ સત્તા જાળવવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે અને કૌભાંડ તથા કમિશન બચાવવા માટે ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભા કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ સામે ભારે આક્રોશ છે અને કાર્યકર્તાઓને ગામોમાં પ્રવેશવામાં પણ મુશ્કેલી પડી રહી છે. AAPએ દાવો કર્યો કે, પોલીસ અને તંત્રના માધ્યમથી ઉમેદવારોને દબાણમાં લાવવામાં આવી રહ્યા છે, અને કેટલીક જગ્યાએ ઉમેદવારોને ધમકી તેમજ લાલચ આપીને ફોર્મ પાછું ખેંચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપે મતદારોને અપીલ કરી કે તેઓ દબાણ અને લાલચની રાજનીતિ સામે મજબૂતીથી ઉભા રહે અને પોતાના મત દ્વારા યોગ્ય જવાબ આપે. AAPએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના ઉમેદવારો ભાજપના તમામ દબાણો સામે મજબૂતીથી લડીને ચૂંટણીમાં ટક્કર આપશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:30 pm

નવસારીમાં ભાજપની 58 બેઠકો બિનહરીફ:જિલ્લા પંચાયતની 8, જલાલપોર તાલુકાની 10 બેઠકો પર વિજય

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપના કુલ 58 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમાં જિલ્લા પંચાયતની 8 અને જલાલપોર તાલુકા પંચાયતની 10 બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત, નવસારી નગરપાલિકાના 13 વોર્ડની કુલ 58 બેઠકો પૈકી 3 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આ પરિણામો જિલ્લામાં વિપક્ષની નબળી પકડ દર્શાવે છે. તાલુકા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત પકડ જમાવી છે. જલાલપોર તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ થઈ છે. ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 10 બેઠકો પર કોઈ હરીફાઈ રહી નથી, જ્યારે ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણીના આંકડાઓ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવસારી જિલ્લા કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો હાલ અજ્ઞાત સ્થળે જતા રહ્યા છે. ફોર્મ ખેંચવાની અંતિમ મિનિટો સુધી કોંગ્રેસ છાવણીમાં એક પ્રકારનો ગભરાટ જોવા મળ્યો હતો. આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બપોરે 3 વાગ્યા પછી સત્તાવાર રીતે ચિત્ર સ્પષ્ટ થશે કે કયા વિસ્તારમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જોકે, અત્યાર સુધીની સ્થિતિ જોતા નવસારીમાં ભાજપે સ્પષ્ટ લીડ મેળવી લીધી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:28 pm

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપનું ‘ઓપરેશન’:રાજકોટનાં વોર્ડ 13, 15, 16 અને 18માં અપક્ષ તેમજ 'આપ'નાં ઉમેદવારોએ 4 ફોર્મ પરત ખેંચ્યા, ભાજપને ટેકો આપવાની કરી જાહેરાત

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહ રચના અપનાવીને વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમર્થન મેળવવામાં મોટી સફળતા મેળવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 15માં ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે, તેનાથી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષોનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોએ હવે ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડની નારાજગી દૂર કરવામાં ભાજપ સંગઠન સફળ રહ્યું છે. રાજુભાઈ મૈયડે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ રાજકોટ શહેર ભાજપના આગેવાનોએ તેમનો સંપર્ક સાધીને લાંબા સમયથી ચાલી આવતી તેમની નારાજગી દૂર કરી છે. રાજુભાઈ મૈયડના જણાવ્યા અનુસાર, મચ્છોયા આહીર સમાજની છેલ્લા ઘણા સમયથી અવગણના થતી હોવાને કારણે સમાજમાં રોષ હતો, જે તેમણે ભાજપ સંગઠન સમક્ષ રજૂ કર્યો હતો. ભાજપના આગેવાનોએ આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા રાજુભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને પોતાની ઉમેદવારી પરત ખેંચીને ભાજપને ટેકો જાહેર કર્યો છે. અગાઉ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના 4-4 ઉમેદવારો અને બસપાના 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી એકમાત્ર અપક્ષ ઉમેદવાર હવે ભાજપની સાથે ભળી ગયા છે. આ ઉપરાંત સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 15માં જોવા મળ્યો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 'આપ' પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડીયાએ અચાનક જ ફોર્મ પરત ખેંચીને ભાજપને ટેકો આપી દીધો છે. આ આખા ખેલ પાછળ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ સોરાણીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યો હોવાથી હવે તેઓ ભાજપને જીતાડવા માટે મેદાને પડ્યા છે. લાખાભાઈ મોરવાડીયાએ જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ નંબર 6 માંથી ટિકિટની માંગણી કરી રહ્યા હતા જ્યાં તેમના સમાજનું 11700 જેટલું મજબૂત મતદાન છે, પરંતુ પક્ષે તેમને વોર્ડ નંબર 15 માં મોકલી દીધા હતા. જીતની નહિવત શક્યતાઓ અને પ્રવીણ સોરાણીના ભાજપ સાથેના જોડાણને પગલે તેમણે પણ કેસરીયો ધારણ કરવાનો નિર્ણય લીધો છે. વોર્ડ નંબર 15માં ભાજપે માત્ર ‘આપ’ જ નહીં, પરંતુ મજબૂત અપક્ષ ઉમેદવાર દેવરાજ સોનારાની વિકેટ પણ પાડી છે. દેવરાજ સોનારાએ પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાને ટેકો જાહેર કર્યો છે. દેવરાજ સોનારાના મતે, નિલેશ હેરભા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલા લોકહિતના કાર્યોથી પ્રેરાઈને તેમણે જનતાના કામો માટે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ગત ચૂંટણીમાં એકમાત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસનાં ચાર કોર્પોરેટરો ચૂંટાયા હતા. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના વશરામ સાગઠીયાને હરાવવા માટે આ એક વ્યૂહાત્મક ચાલ ચાલી હોય તેમ જણાય છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 16 અને 18 માંથી પણ અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આમ, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે રાજકીય ગણિતોમાં મોટો ફેરફાર લાવીને કુલ 4 ફોર્મ પરત ખેંચાવતા ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બન્યો છે. અને કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તે શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:24 pm

APMC માર્કેટની દીવાલ પાસે યુવકનો આપઘાત:ઝાડ પર ગળેફાંસો ખાઈ ઉત્તરપ્રદેશના યુવકે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

વડોદરા શહેરના દરજીપુરામાં APMC માર્કેટની દીવાલ પાસે ઝાડ સાથે અડધી રાત્રે ગળેફાંસો ખાઈને 22 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લટકતી લાશ જોઈને પોલીસને જાણ કરીગત મોડી રાત્રે ઝાડ પર લટકતી યુવકની લાશ જોઈને એક રાહદારીએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં મૃતકની ઓળખ શુભમ પાસવાન (ઉંમર 22 વર્ષ) તરીકે કરી છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને હાલ સયાજીપુરા ફ્રૂટ માર્કેટમાં રહેતો હતો. શુભમ APMC માર્કેટમાં છૂટક મજૂરીનું કામ કરતો હતો અને તે પોતાના રાજ્યના સંબંધીઓ સાથે જ રહીને કામ કરતો હતો. કપુરાઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવ્યો છે. આપઘાતનું કારણ અકબંધપોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. હાલમાં આ યુવકના આપઘાત પાછળ મૂળ કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ અને અન્ય કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:24 pm

પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાંથી સગીરા ગુમ, અપહરણની ફરિયાદ:માતાએ બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરી, પોલીસે તપાસ શરૂ કરી

પાટણ શહેરના કોર્ટ કમ્પાઉન્ડમાંથી 17 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ છે. આ મામલે સગીરાની માતાએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે, જેમાં બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફરિયાદી ઉમાબેને પોલીસને જણાવ્યું કે, 10 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:30 વાગ્યે તેઓ તેમની 17 વર્ષ અને 9 મહિનાની દીકરી સાથે પાટણ કોર્ટમાં આવ્યા હતા. તે દરમિયાન દીકરી કોઈને જાણ કર્યા વગર કોર્ટ કમ્પાઉન્ડમાંથી જતી રહી હતી. પરિવારે સગા-સંબંધીઓ અને શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ કરી હતી, પરંતુ દીકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સામાજિક બદનામીના ડરથી પરિવારે ફરિયાદ નોંધાવવામાં વિલંબ કર્યો હોવાનું પણ જણાવાયું છે. ઉમાબેને તેમની ફરિયાદમાં હંસાબેન (રહે. પાટણ) અને ભાવનાબેન (રહે. પાટણ) પર શંકા વ્યક્ત કરી છે. તેમને આશંકા છે કે આ મહિલાઓ તેમની દીકરીને લલચાવી-ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગઈ છે. પાટણ સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 137(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર વિનયસિંહ તેજાજી રાજપુતને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:23 pm

જામનગર ભાજપે શહેર વિકાસ માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું:અનેક આધુનિક પ્રોજેક્ટ્સનો સમાવેશ, 'ફાટક મુક્ત' શહેર બનાવવાનો સંકલ્પ

જામનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીએ શહેરના આગામી વિકાસનો રોડમેપ રજૂ કરતું 'સંકલ્પ પત્ર' વિધિવત રીતે જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં જામનગરને વધુ આધુનિક, સુવિધાજનક અને હરિયાળું બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ સંકલ્પ પત્રમાં શહેરના પાયાના પ્રશ્નોથી લઈને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની વિવિધ બાબતોને આવરી લેવામાં આવી છે. ટ્રાફિક અને પરિવહન ક્ષેત્રે શહેરને 'ફાટક મુક્ત' બનાવવાનો સંકલ્પ લેવાયો છે. ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટેનું આયોજન રજૂ કરાયું છે અને પર્યાવરણને અનુકૂળ પીએમ ઈ-બસ યોજનાનો અમલ પણ કરાશે. પર્યાવરણ અને હરિયાળી માટે ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટ, અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ અને ગ્રીન કવરેજમાં વધારો કરીને શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જળ સંચય અને બ્યુટીફિકેશન અંતર્ગત શહેરમાં આવેલા તળાવોનું નવીનીકરણ, નવા તળાવોનો વિકાસ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. વરસાદી પાણીના સંગ્રહ માટે 'કેચ ધ રેઈન' અભિયાન પણ ચલાવવામાં આવશે. આવાસ અને પાણીની સુવિધા માટે દરેકને પોતાનું ઘર મળે તે હેતુથી આવાસ યોજનાઓ, 1404 રી-ડેવલપમેન્ટ યોજના અને 'નલ સે જલ' યોજના હેઠળ શુદ્ધ પાણીની સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય છે. ઉર્જા અને આધુનિકતાના ભાગરૂપે રિન્યુએબલ એનર્જી અને સોલાર પેનલ્સનો વ્યાપ વધારવામાં આવશે. ડિજિટલ યુગમાં યુવાનો માટે ઈ-લાઈબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. સ્વચ્છતા અને સુવિધા માટે વેસ્ટ ટુ વન્ડર પાર્ક, રિયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર નેટવર્કનું સઘન આયોજન કરાયું છે. આ ઉપરાંત, ચેલા પાસે ત્રીજા સ્મશાન ગૃહનું નિર્માણ પણ પ્રસ્તાવિત છે. અન્ય સુવિધાઓમાં રખડતા પશુઓ પર નિયંત્રણ, નવા ફાયર સ્ટેશનોની સ્થાપના, સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહન અને બેડી પોર્ટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન સામેલ છે. વિકાસ ભી, વિરાસત ભી ના મંત્ર સાથે ભાજપે જામનગરની જનતાને એક ભવ્ય અને સુવિધાસભર મહાનગર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:22 pm

કેશોદમાં યુવા ભાજપના મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામું:'આપ' અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મેદાન છોડતા રાજકારણ ગરમાયું, નગરપાલિકામાં AAPના ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચવા સુધીની પ્રક્રિયામાં જે રીતે રાજકીય દાવપેચ ખેલાઈ રહ્યા છે. તેણે મતદારો અને રાજકીય વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે જુનાગઢના કેશોદ અને માળિયા હાટીના પંથકમાં ચૂંટણી પહેલા જ જે દ્રશ્યો સર્જાયા છે, તે જોતા આગામી દિવસોમાં મોટા રાજકીય પરિવર્તનોના સંકેત મળી રહ્યા છે. ​કેશોદ ભાજપમાં ભંગાણ, યુવા મંત્રીનું રાજીનામું​શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં કેશોદમાં મોટું ગાબડું પડ્યું છે. શહેર યુવા ભાજપના મંત્રી મયુર વઘાસિયાએ અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા સ્થાનિક સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચૂંટણીના આ મહત્વના તબક્કે યુવા નેતાનું રાજીનામું પક્ષમાં ચાલતા આંતરિક જૂથવાદ અને અસંતોષને સપાટી પર લઈ આવ્યું છે. જો કે, રાજીનામાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આંતરિક અવગણનાને કારણે નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ​ચૂંટણીના માહોલ વચ્ચે કેશોદ અને માળિયા પંથકમાં અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા સમીકરણો બદલાયા છે, જેની વિગત નીચે મુજબ છે. ​માળિયા હાટીના તાલુકા પંચાયત (ગળોદર સીટ):કોંગ્રેસના ઉમેદવાર મુમતાઝબેન દલ દ્વારા ફોર્મ પરત ખેંચાયું (આમ આદમી પાર્ટીના સમર્થનમાં). ​કેશોદ તાલુકા પંચાયત (સોંદરડા બેઠક):આમ આદમી પાર્ટીના ઉમેદવાર દક્ષાબેન ગોવિંદભાઈ કેશવાલા દ્વારા ફોર્મ પરત ખેંચાયું. ​કેશોદ નગરપાલિકા (વોર્ડ નંબર-3):આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાકરબેન સુત્રેજા દ્વારા ફોર્મ પરત ખેંચાયું. ​કેશોદ નગરપાલિકા (વોર્ડ નંબર-9):આમ આદમી પાર્ટીના ઉમેદવાર મીનાબેન ડાયાભાઇ ગરચર દ્વારા ફોર્મ પરત ખેંચાયું. ​કેશોદ નગરપાલિકા (વોર્ડ નંબર-9):આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભગીરથભાઈ જોરા દ્વારા ફોર્મ પરત ખેંચાયું. ​કેશોદ નગરપાલિકા (વોર્ડ નંબર-9):આમ આદમી પાર્ટીના ઉમેદવાર મયુરિબેન નાથ દ્વારા ફોર્મ પરત ખેંચાયું. ​માળિયામાં કોંગ્રેસના ઉમેદવારે આમ આદમી પાર્ટીના સમર્થનમાં ફોર્મ ખેંચતા તાલુકા કોંગ્રેસ પ્રમુખે 'આપ' પર આક્ષેપો કર્યા છે. બીજી તરફ, કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં એકસાથે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 3:15 pm