SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

ચાર દરવાજા વિસ્તારમાં પતંગની ખરીદી માટે પતંગરસિકો ઉમટ્યા:7 ફૂટની વિશાળ પતંગે આકર્ષણ જમાવ્યું, યુવકે 1200 રૂપિયાનો પંજો ખરીદ્યો, 4 ફિરકી ભેગી કરીને પતંગ ચગાવવી પડે

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં પતંગો અને દોરીની ખરીદી માટે મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટ્યા છે. માંડવી ચાર દરવાજા વિસ્તારમાં પગ મુકવાની જગ્યા નથી એટલી ભીડ જામી છે. મોડી રાત સુધી માર્કેટમાં લોકો ખરીદી કરશે. ખાસ કરીને 7 ફૂટની પતંગે આકર્ષણ જમાવ્યું હતું. યુવકે 1200 રૂપિયાનો પંજો ખરીદ્યો હતો. આ પતંગ ચગાવવા 4 ફિરકી ભેગી કરીને ચગાવવી પડે છે. ‘આ વખતે મોંઘવારી તો ઘણી વધી ગઈ છે’શિનોરથી વડોદરા પતંગ અને દોરાની ફરીથી કરવા આવેલા પાર્થ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે તો તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે ખરીદીનો છેલ્લો દિવસ છે, એટલે અમે પતંગો લેવા આવ્યા છીએ. જોકે આ વખતે મોંઘવારી તો ઘણી વધી ગઈ છે, પણ તેમ છતાં અમે ભાવતાલ કરીને પતંગો અને ફિરકીઓની ખરીદી કરી રહ્યા છીએ. અત્યારે બજારમાં આંટા મારીને બધું જોઈ રહ્યા છીએ અને તૈયારીઓ ફૂલ જોશમાં ચાલુ છે. નવી નવી ડિઝાઇનના પતંગોધાબા પર તો આ વખતે નવી નવી ડિઝાઇનના પતંગો લાવ્યા છીએ. બાકી સ્પીકર અને મ્યુઝિક તો દર વર્ષની જેમ આ વખતે પણ ધૂમ મચાવશે જ. પતંગના દોરા લેવામાં આ વખતે થોડું ધ્યાન રાખવું પડે તેમ છે, કારણ કે બજારમાં ડુપ્લિકેટ દોરા પણ આવી ગયા છે. એટલે બધું વ્યવસ્થિત તપાસીને જ ખરીદી કરી રહ્યા છીએ. 12 વાગ્યે બાદ પણ વેપાર કરવાની છૂટ આપવા વેપારીની માગવેપારી અકીલ ગોલાવાલાએ જણાવ્યું હતું કે, આ વખતે માહોલ ઘણો સારો છે. લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. જે રીતે ભીડ જોવા મળી રહી છે, તે જોતા લાગે છે કે લોકો આ વખતે ઉત્તરાયણની ધામધૂમથી મજા માણશે. અત્યારે રાત્રે 12 વાગ્યા સુધી બજાર ચાલુ રહે છે, પણ પોલીસ 12 વાગ્યે દુકાનો બંધ કરાવી દે છે. અમારી માંગ છે કે સમય વધારવો જોઈએ, કારણ કે લોકો મોડી રાત સુધી ખરીદી કરવા આવે છે. પોલીસ દ્વારા જલ્દી બંધ કરાવવાને કારણે ગ્રાહકો માલ લીધા વગર જ પાછા ફરે છે અને વેપારીઓને પણ મુશ્કેલી પડે છે. પતંગ અને દોરીના ભાવમાં અંદાજે 15% થી 20% સુધીનો વધારોતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક સીઝનલ બિઝનેસ છે અને આજે છેલ્લો દિવસ છે, તો જો સમય 1કે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવે તો વેપારીઓ માટે ઘણું સારું રહેશે. આ વખતે મટીરિયલમાં ભાવ વધારો જોવા મળ્યો છે. પતંગ અને દોરીના ભાવમાં અંદાજે 15% થી 20% સુધીનો વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:12 pm

ભૂતેડીમાં પાટણવાડા દરજી પરિવારનો ઇનામ વિતરણ કાર્યક્રમ:22 વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા

પાલનપુર ખાતે સ્થાયી થયેલા પાટણવાડા દરજી પરિવાર દ્વારા ભૂતેડી ગામમાં આવેલા હરગંગેશ્વર મહાદેવ મંદિરે 25મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી ગ્રેજ્યુએશન સુધીના 22 વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાદેવ મંદિરના મહંત શ્રી રવિન્દ્ર ગીરી મહારાજે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ મહેશભાઈ, મંત્રી વાસુંભાઈ, ભોજનના દાતા હરેશભાઈ સહિત સમાજના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:10 pm

સુરેન્દ્રનગર પોલીસે ચાઈનીઝ દોરી સામે કાર્યવાહી કરી:બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરી પ્રતિબંધિત વસ્તુઓનું ચેકિંગ હાથ ધર્યું

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને બજારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી વસ્તુઓનું વેચાણ રોકવા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગ એસઓજી, ક્યુઆરટી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ભીડભાડવાળી જગ્યાઓ અને બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, ખાસ કરીને ચાઈનીઝ દોરી, તુક્કલ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ પર નજર રાખવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન આવી વસ્તુઓના ઉપયોગથી થતા અકસ્માતોને અટકાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 8:04 pm

Editor’s View: 20 મિનિટમાં મહાવિનાશ:ચીનની 60+1 ન્યુક્લિયર ફોર્મ્યુલા, ભારત માથે ડબલ ખતરો, અમેરિકા અને રશિયાને પણ ધ્રૂજાવી દીધા

શું તમે જાણો છો કે ચીન માત્ર 20 મિનિટમાં જ તમારી આસપાસની આખી દુનિયાને રાખના ઢગલામાં ફેરવી શકે છે? આ કોઈ ફિલ્મી સ્ટોરી નહીં પણ, ચીને કરેલો દાવો છે. આ વાત યુદ્ધથી પણ આગળ વધી ચૂકી છે. જો કે આ બધુ આપણા ખિસ્સા સાથે પણ જોડાયેલું જ છે. બોર્ડર પર માત્ર એક ભૂલ અને આવતીકાલની સવારના શેરબજારના રોકાણો ઝીરો થઈ જાય. સોના ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી શકે. માટે આપણને શું અસર થાય તે જાણવા માટે એ સમજવું જરૂરી છે કે ચીન હાલ કેટલા પરમાણું બોમ્બ બનાવી રહ્યું છે? શું છે તેમની 60 પ્લસ 1 ન્યુક્લિયર ફોર્મ્યુલા? આજના વીડિયોમાં વાત કરીએ ચીનના હાઈડ્રોજન બોમ્બ અને ભારતની સુરક્ષા દિવાલનું સત્ય. શું છે ચીન અને દુનિયાની ન્યુક્લિયર શક્તિ અને કેવી રીતે આપણે જાણતા અજાણતા પણ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છીએ તેના વિશે. નમસ્કાર... અમેરિકામાં એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ બની છે જેનું નામ છે, અ હાઉસ ઓફ ડાઈનામાઈટ. આ ફિલ્મમાં અમેરિકા પર અજાણ્યા દેશે મિસાઈલથી હુમલો કર્યો હોય છે અને શિકાગોને ટારગેટ બનાવ્યું હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે માત્ર 18 મિનિટ હોય છે નક્કી કરવા માટે કે અજાણી મિસાઈલના બદલામાં આખી દુનિયા પર વળતો પરમાણું હુમલો કરવો કે નહીં. અંતે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા જ ફિલ્મ પૂરી થઈ જાય છે. ડિરેક્ટરે એ વાત આપણને સમજવા આપી દીધી છે કે અમેરિકા હુમલો કરે તો શું અને ન કરે તો શું? જે એક સંદેશ આપી જાય છે કે આપણે કેવા સમયમાં અને કેવી અનિશ્ચિતતાઓ વચ્ચે જીવી રહ્યા છીએ. આ આજની વાસ્તવિકતા છે. કારણ કે ચીન સત્તાવાર રીતે દાવો કરી રહ્યું છે કે તેમની પાસે પરમાણું અને હાઈડ્રોજન એમ બંને બોમ્બ છે. ચીનના ફોર્મર ડિપ્લોમેટ, લોયર અને પ્રોફેસર વિક્ટર ગાઓએ ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, ‘ચીન પાસે 60+1 ફોર્મ્યુલા ધરાવતી ICBM મિસાઈલ છે. જે માત્ર 20 મિનિટમાં દુનિયાના કોઈપણ ખૂણે તબાહી મચાવી શકે છે. તેને રોકવી અશક્ય છે’. હવે સમજો આ '60+1' ફોર્મ્યુલા શું છે? ચીનનો દાવો છે કે તેમની નવી DF-61 મિસાઈલ 60 પરમાણુ વોરહેડ અને 1 હાઈડ્રોજન બોમ્બ લઈ જઈ શકે છે. એટલે મિસાઈલમાં 60 નાના પરમાણુ વોરહેડ અને 1 મહાવિનાશક હાઈડ્રોજન બોમ્બ ફીટ કરેલા છે. જ્યારે આ મિસાઈલ ફૂટે ત્યારે તે એકસાથે ભારે તબાહી મચાવી શકે છે. ચીનનું એવું પણ કહેવું છે કે ચીન ક્યારેય પહેલો હુમલો નથી કરતું પણ બીજો હુમલો કરવા માટે કોઈનો મોકો પણ નથી આપતું. માત્ર એક બટન અને દુનિયાના કોઈ દેશ કે શહેરનો ધી એન્ડ.... બેઈજિંગની ભૂલ અને ગુજરાતના હીરા-શેરબજાર પર સંકટ આપણે ભલે ગુજરાતમાં બેઠા છીએ પણ બેઈજિંગમાં બેઠેલો મગજ વગરનો કોઈ માણસ ભૂલથી કે જાણી જોઈને પણ કોઈ દેશ પર હુમલો કરવા પરમાણું હુમલાનું બટન દબાવી દે તો પૂરી દુનિયા પર તો તેની અસર પડશે જ પણ સાથોસાથ સુરતના ડાયમંડ બુર્સ, દેશના સ્ટોકમાર્કેટ અને ગુજરાતની રિફાઈનરીઓ પર પણ અસર કરશે. ગ્લોબલ સપ્લાયની ચેઈન એટલી સેન્સેટિવ છે કે ચીનની એક મિસાઈલ અને દુનિયા સહિત આપણો ધંધો ઠપ્પ. હથિયારો પાછળનો અસલી ખેલ: વિસ્તારવાદ અને વેપાર એવામાં એક સવાલ થાય કે ચીન આટલા હથિયારો કેમ બનાવી રહ્યું છે? શું ખરેખર યુદ્ધ કરવાનું છે? ના.... અસલી ખેલ પોતાનું અર્થતંત્ર અને હિતો બનાવી રાખવાનો છે. જ્યારે કોઈ દેશ અંદરથી નબળો પડે છે ત્યારે તે બહાર દુશ્મનો ઉભા કરે છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિથી દુનિયાના વેપારી માર્ગો ખાસ કરીને દક્ષિણ ચીન સાગર પર કબજો કરવા માગે છે. પરમાણું હથિયાર તેના માટે એક ઈન્શ્યોરન્સ પોલિસી છે, જેથી ભારત કે અમેરિકા તેના વેપારમાં દખલ ન કરે. ફિશનથી ફ્યુઝન સુધી: ચીનની ગુપ્ત ન્યુક્લિયર છલાંગ એન્ડ્રુ સ્મોલનું એક પુસ્તક છે ધ ચાઈના-પાકિસ્તાન એક્સિસ. તેમાં એન્ડ્રુ લખે છે કે કેવી રીતે ચીને ગુપ્ત રીતે પોતાની ન્યુક્લિયર ક્ષમતા વધારી છે. 1945માં જાપાનના હિરોશિમા પર પહેલો બોમ્બ ફિશનવાળો અણુબોમ્બ હતો. પણ ચીન હવે ફ્યુઝનવાળા હાઈડ્રોજન બોમ્બ સુધી પહોંચી ગયું છે. માનવ જાતનો અંત અને સુપરપાવર્સનો ન્યુક્લિયર દબદબો હાલ માણસોએ એવી ટેક્નોલોજી નથી વિકસાવી જેનાથી આખી પૃથ્વીને ઉડાવી દેવાય. જો કોઈ દેશને આવો વિચાર શુધ્ધા પણ આવે તો તે દુનિયા પરથી હ્યુમન સિવિલાઈઝેશનનો અંત ગણાશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલ આપણી પાસે જેટલી ન્યુક્લિયર શક્તિ છે તેના 100 ક્વોડ્રિલિયન ગણી શક્તિ આવી જાય તો માણસ પૃથ્વી પણ ઉડાવી શકે છે. મોટાભાગની હ્યુમન સિવિલાઈઝેશનનો અંત કરવા માટે તો માત્ર 300 ન્યુક્લિયર બોમ્બ જ પૂરતા છે. ત્યારે ન્યુક્લિયર સ્ટોકપાઈલ્સની વાત કરીએ તો 90 ટકા હિસ્સો અમેરિકા અને રશિયા પાસે છે. ન્યુક્લિયર પાવર રેન્કિંગમાં ભારત કયા ક્રમે? દુનિયાના 9 દેશ પાસે ન્યુક્લિયર હથિયાર છે. જેમાં ભારત છઠ્ઠા નંબર પર આવે છે. (આ ગ્રાફિક્સ વાંચવાના નથી) કોની પાસે કેટલાં પરમાણું હથિયાર? 1) રશિયા 5,459 2) અમેરિકા 5,177 3) ચીન 600 4) ફ્રાન્સ 290 5) યુકે 225 6) ભારત 180 7) પાકિસ્તાન 170 8) ઈઝરાયલ 90 9) નોર્થ કોરિયા 50 (સોર્સઃ ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ) ચીનની વિનાશક ક્ષમતા અને શુદ્ધ વેપારી ગણિત રશિયા અને અમેરિકા બંને મળીને હ્યુમન સિવિલાઈઝેશનનને 15થી 50વાર ખતમ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ચીન બેવાર માનવ પ્રજાતિને ખતમ કરી શકે છે. આપણને લાગે કે આ લશ્કરી શક્તિ માત્ર દેખાડા માટે છે પણ એવું નથી, આ ખૂબ જ ખાતક છે. જો કે આ તાકાત નૈતિકતા માટે નહીં પણ શુદ્ધ વેપારી ગણિત માટે હાલ વાપરવામાં આવી રહ્યું છે. અહીં ચીનની વિસ્તારવાદી વૃત્તિ ભારત માટે ખતરનાક છે માટે ચીન પર વધુ ફોકસ કરવું જરૂરી છે. ચીનનું કહેવું છે કે તેની પાસે દુનિયાનો એકમાત્ર હાઈડ્રોજન બોમ્બ છે. પહેલા સમજીએ કે ન્યુક્લિયર બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ શું છે? ન્યુક્લિયર બોમ્બ એટલે વર્ષ 1945માં હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકાએ બોમ્બ ફેક્યો હતો તે. એટોમિક બોમ્બમાં જ્યારે યુરેનિયમનો એક અણુ તૂટે છે ત્યારે તે બીજા અનેક અણુઓને પણ તોડે છે. જેને સાઈન્ટિફિક ભાષામાં ફિશન કહેવાય છે. આખી પ્રોસેસ સેકન્ડના લાખમાં ભાગમાં થઈ જાય છે અને પ્રચંડ વિસ્ફોટ થાય છે. પરમાણુ બોમ્બ એટલે શું? વિનાશનું વિજ્ઞાન જ્યારે હાઈડ્રોજન બોમ્બ એટલે... નાના અણુઓને ભેગા કરવામાં આવે. આ સૂર્યની જેમ કામ કરે છે; અને તે પ્રોસેસને વૈજ્ઞાનિક ભાષામાં ફ્યુઝન કહેવાય છે. હાઈડ્રોજન બોમ્બને કામ કરવા માટે કરોડો ડિગ્રી ગરમી જોઈએ અને તે એટોમિક બોમ્બ કરતા હજારો ગણો શક્તિશાળી છે. હાઈડ્રોજન બોમ્બ: સૂર્ય જેવી પ્રચંડ શક્તિ જોવા જેવી વાત અહીં એ છે કે દુનિયાને ડરાવવા અને પોતાનો દબદબો જાળવી રાખવા ચીન કહે છે કે તેની પાસે હાઈડ્રોજન બોમ્બ છે. સૌથી પહેલા સમજીએ આ બંને વચ્ચે ફૂટવાનું અંતર શું છે. અમદાવાદ પર હુમલો થાય તો? 1 કિલો ન્યુક્લિયર બોમ્બ ફુટે તો અમદાવાદના લાલ દરવાજા, રાયપુર, રિવરફ્રન્ટ અને આશ્રમ રોડ સુધી બધુ જ સફાચટ્ટ થઈ જાય. કંઈ જ ન બચે. આસપાસના વિસ્તારોના લોકોમાં પણ કેન્સર અને લાંબાગાળાની બીમારીઓ થાય. 1 કિલો હાઈડ્રોજન બોમ્બ ફૂટે તો આખું અમદાવાદ ઉડી જાય અને માત્ર ધૂળ અને રાખ જ બચે. તેની અસર ગાંધીનગર અને ખેડા જિલ્લામાં પણ થાય. ચીનની ન્યુક્લિયર ક્ષમતામાં થઈ રહેલો વિસ્ફોટક વધારો 2020 300-350 વોરહેડ 2025 600 વોરહેડ 2030 1,000 વોરહેડનું લક્ષ્ય 2035 1,500 વોરહેડનું લક્ષ્ય કઈ મિસાઈલની રેન્જમાં છે ભારતનાં કયા શહેરો? જો તમારી પાસે મોટી બંદૂક હોય, તો કોઈ તમારો વેપાર રોકી શકતું નથી. ચીન આ હથિયારોના જોરે દક્ષિણ ચીન સાગરમાં ભારત જેવા બીજા દેશોના વેપારી જહાજોનો રસ્તો રોકવા માંગે છે. આનો અર્થ એ છે કે ચીન માત્ર હુમલાનો જવાબ આપવા માટે નહીં, પરંતુ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને જીતવા માટે તૈયારી કરી રહ્યું છે. ચીને પોતાના ઉત્તર પશ્ચિમ રણમાં અનેક મિસાઈલ તહેનાત કરી છે. તે ગમે ત્યારે છોડી શકાય છે અને મિનિટોમાં કોઈ પણ દેશના શહેરોનો ખાતમો કરી શકે છે. ચીનના હામી, ઓર્ડોસ અને યુમેન રણમાં 350 નવી મિસાઇલ સાયલો છે. અહીંથી નીકળતી મિસાઇલ 12 હજાર કિમી દૂર વોશિંગ્ટન કે દિલ્લી-મુંબઈને ગણતરીની મિનિટોમાં ખાખ કરી શકે છે. યુદ્ધ જીતવાની તૈયારી અને ભારત માટે દરિયાઈ ખતરો ચીન માત્ર અહીં જ નથી અટક્યું. જમીન સિવાય તેણે હવા અને સમુદ્ર એમ ત્રણેય જગ્યા પરથી પરમાણું હમલો કરવાની ક્ષમતા ધરાવી લીધી છે. ચીન પાસે જિન ક્લાસ સબમરીન છે. જે ચીનના સમદ્રી કિનારાથી અમેરિકા અને ભારત સુધી પણ હુમલો કરવાની ક્ષમતા રાખે છે. મિસાઈલની ટાઈપ અને ડિસ્ટન્સની વાત કરીએ તો ચીનની ન્યુક્લિયર મિસાઈલની તાકાત ICBM રેન્જ 12 હજાર કિમી SLBM રેન્જ 9 હજાર કિમી IRBM રેન્જ 4 હજાર કિમી MRBM રેન્જ 2,150 કિમી રણમાં છુપાયેલું મોત: દિલ્હી-વોશિંગ્ટન નિશાના પર આ સમયે એક સવાલ થાય કે ચીન ભારત પર હુમલો કરે તો આપણે બચવા માટે શું કરી શકીએ. દુર્ભાગ્યવશ પરમાણું હુમલા સામે રક્ષણ મેળવવા આપણી પાસે કોઈ બંકર વ્યવસ્થા નથી. સામેની બાજુ ચીને બેઈજિંગ અને શાંઘાઈમાં વિશાળ અંડરગ્રાઉન્ડ બંકર બનાવ્યા છે જેમાં પરમાણુ હુમલા સમયે આંશિક રીતે બચી શકાય. ભારતમાં લોકો માટે નહીં પણ નેતાઓ અને ભારતીય સેના માટે સુરક્ષિત બંકરો ઉપલબ્ધ છે. ભારતનું સુરક્ષા કવચ: S-400 અને એર ડિફેન્સ સિસ્ટમ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારતે પોતાનો BMD પ્રોજેક્ટ વિકસાવ્યો છે. જેનો ઉદ્દેશ્ય છે આવનારી મિસાઈલને હવામાં જ તોડી પાડવી. ભારત પાસે PAD એટલે કે પૃથ્વી એર ડિફેન્સ અને AAD એટલે કે એડવાન્સ એર ડિફેન્સ છે. જે દિલ્લી-મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોને સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. આપણી પાસે રશિયા પાસેથી ખરીદવામાં આવેલી S-400 સિસ્ટમ પણ છે. જો કે બંને 100 ટકા સુરક્ષાની ખાતરી આપતી નથી. કારણ કે મિસાઈલ્સની સંખ્યા વધારે હોય તો સિસ્ટમ ઓવરલોડ થઈ નિષ્ફળ થઈ શકે છે. ચીનની સ્ટ્રેટેજી લશ્કરી તાકાત તો છે જ, પણ સાથે સાથે દેશ અને દુનિયા માટે આર્થિક જોખમ પણ છે. સ્ટોક માર્કેટઃ જો ચીન સાથે તણાવ વધે, તો મોટી કંપનીઓના સ્ટોક્સમાં 20-30%નો ઘટાડો મિનિટોમાં આવી શકે છે. ગોલ્ડ અને સિલ્વરઃ યુદ્ધના ડરે સોનું રાતોરાત 2 લાખને પાર કરી શકે છે. કારણ કે, સુરક્ષિત રોકાણ તરીકે લોકો સોના તરફ દોડશે. સામાન્ય માણસઃ તેલના ડબ્બાના ભાવથી લઈને પેટ્રોલ-ડીઝલ સુધી બધું જ મોંઘું થશે કારણ કે Supply Chain ખોરવાઈ જશે. રૂપિયો ઓલ ટાઈમ તળિયેઃ ડોલર સામે રૂપિયો 90-95 સુધી જઈ શકે છે, જેની સીધી અસર તમારા બાળકોની વિદેશની ટ્યુશન ફી પર પડશે. અને છેલ્લે... પરમાણુ બોમ્બના ડર વચ્ચે ચીન હવે ભારતની જમીન પર પણ દાવો ઠોકી રહ્યું છે. તાજેતરમાં ચીને PoKની શક્સગામ ઘાટીને સત્તાવાર રીતે પોતાનો વિસ્તાર ગણાવી દીધો છે. આ એ જ જમીન છે જે 1963માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ચીનને ભેટ ધરી હતી. ચીન હવે ત્યાં CPECના નામે જે રસ્તાઓ બનાવી રહ્યું છે, તે માત્ર કોંક્રિટ નથી પણ ભારત ફરતે કસવામાં આવી રહેલો ગાળિયો છે. જો યુદ્ધ થાય, તો ચીન અને પાકિસ્તાન આ રસ્તેથી એકસાથે હુમલો કરી શકે છે. ભારતનું કહેવું છે કે આપણે ચીન-પાકિસ્તાનના કરારને માન્યતા નથી આપતા પણ સવાલ એ છે કે, શું આપણે ભવિષ્યના ટુ-ફ્રન્ટ વોરના ભણકારા સાંભળી રહ્યા છીએ? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:55 pm

નોકરી પરત મેળવવા અધિકારીએ AMCને અરજી કરી:ફાયર NOC માટે લાંચ ઉપરી અધિકારીના કહેવાથી રકમ લીધી હોવાનો બચાવ કર્યો, સોમવારે નિર્ણય થશે

અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવનારા અધિકારી એરિક રિબેલોને લાંચ લેવાના કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. નોકરીમાં ફરીથી પરત લેવા માટે અપીલ સબ કમિટીમાં રજૂઆત કરી છે. આગામી સોમવારે મળનારી કમિટીમાં તેમને નોકરીમાં પરત લેવા માટે અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. એરિક રિબેલોએ રજૂઆત કરી છે કે મેં કોઈ વહીવટ કર્યો નથી. માંગણી કરી હોવાનો કોઈ પુરાવો નથી, મારા ઉપરી અધિકારી મનીષ મોઢના કારણે આપવામાં આવેલી હોવાનું પણ ફરિયાદીએ કહ્યું છે. આ રજૂઆતને લઈ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો નિર્ણય લેશે. ફાયર એનઓસી માટે 25 હજાર લાંચની માંગણી આ અંગેની વિગત એવી છે કે વર્ષ 2021માં ફાયર એનઓસી મેળવવા માટે જે અધિકારી દ્વારા રૂ. 25 હજારની માંગણી કરવામાં આવી રહી હોવાના મામલે દિવ્ય ભાસ્કર દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં મનીષ મોઢ દ્વારા લાંચ માગવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ થઈ હતી. રૂપિયા 25000 એરિક રિબેલો નામના ફાયર અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાજે મામલે સસ્પેન્ડ તેઓને કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. નોકરીમાંથી બરતરફનો હુકમ કરવામાં આવેલા એરીક કોલ્વીન રીબેલો દ્વારા આગામી 19 જાન્યુઆરીના રોજ મળનારી અપીલ સબ કમિટિ સમક્ષ રજૂઆત કરી છેકે, તેમની સામેના આરોપમાં લાંચ લીધાનો આરોપ નથી માટે તેમને નોકરી પર પરત લઇ લેવામાં આવવા જોઇએ. સ્ટીંગ ઓપરેશન ને ખુલાસોફાયર એનઓસી માટે મનીષ મોઢ દ્વારા રૂ. 60 હજારની માંગણી કરાઇ હતી. જે પૈકી પ્રથમ વખત રૂ.15 હજાર અને બીજી વખત રૂ. 10 હજારની રકમ લીધી હતી. જે મામલે સ્ટીંગ ઓપરેશન કરાયું હતું. જોકે આ રકમ એરીક કોલ્વીન રીબેલો દ્વારા લેવામાં આવી હતી. જે મામલે 13મી ડિસેમ્બર 2021ના રોજ આવેલા અહેવાલ બાદ ફાયર કર્મચારી મનીષ મોઢ અને એરીકને ચાર્જશીટ આપી હતી. તપાસમાં એરીક કસુરવાર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને તત્કાલીક અસરથી બરતરફ કરવામાં આવ્યા હતા. સબ કમિટિમાં અરજી દાખલ, ફરીથી નોકરી પર લેવા માગજોકે આ સસ્પેન્સનના હુકમ સામે એરીકે અપીલ સબ કમિટિ સમક્ષ અપીલ દાખલ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજીલન્સ વિભાગની તપાસમાં તેણે એવો બચાવ લીધો હતો કે, મેં કોઈ વહીવટ નથી કરેલો ફરિયાદી દ્વારા જે ફોન કરવામાં આવ્યો હતો તેમાં ક્યાંય કોઈ ફોન કર્યો અથવા લાંચની માંગ કરી એવું પુરવાર થતું નથી. માત્ર તેમના ઉપરી અધિકારી મનીષ મોઢ દ્વારા તેમને સુચના આપતાં તેના નાણાં લેવા માટે તેઓ ગયા હતા. આ રકમ લાંચની હોવાનું તેમને ખબર ન હતી. જોકે તમામ બાબતો ધ્યાને લીધા બાદ વિજીલન્સ વિભાગે તેમને કસુરવાર ઠેરવ્યા હતા. જે બાદ તેમને 2023માં જ સસ્પેન્ડ કરાયા હતા. જેની સામે તેણે અપીલ સબ કમિટિમાં અરજી દાખલ કરી તેને ફરીથી નોકરી પર લઇ લેવા રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:50 pm

પંચમહાલ SP દુધાતે સિનિયર સિટીઝન ગ્રુપની મુલાકાત લીધી:ગોધરાના ગાયત્રીનગરમાં વરિષ્ઠ નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા, સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપ્યું

પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે ગોધરા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં સિનિયર સિટીઝન બાંકડા ગ્રુપની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વરિષ્ઠ નાગરિકોના વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સિનિયર સિટીઝનોએ રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નો, સામાજિક સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને સાયબર ગુનાઓ અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. એસ.પી. દુધાતે તમામ પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે શક્ય તેટલા પ્રશ્નોના સ્થળ પર જ નિવારણ માટે સૂચનો પણ કર્યા. મુલાકાત દરમિયાન, સાયબર ક્રાઇમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકોને વધી રહેલી ઓનલાઇન છેતરપિંડી, ફ્રોડ કોલ, ઓટીપી શેર કરવાના જોખમો અને ડિજિટલ અરેસ્ટ જેવા નવા પ્રકારના સાયબર ગુનાઓથી સચેત રહેવા અપીલ કરવામાં આવી. તેમને કોઈપણ શંકાસ્પદ કોલ કે મેસેજ મળે તો તરત જ પોલીસને જાણ કરવા અને કોઈપણ વ્યક્તિગત માહિતી શેર ન કરવા અંગે સમજાવવામાં આવ્યું હતું.આ મુલાકાતથી સિનિયર સિટીઝનોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવનામાં વધારો થયો હતો. સિનિયર સિટીઝન બાંકડા ગ્રુપના સભ્યોએ એસ.પી. હરેશ દુધાતનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવી માર્ગદર્શક મુલાકાતો યોજાય તેવી માંગણી કરી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:47 pm

જૂનાગઢમાં ટેક્સના પૈસાનું પાણી:જૂનાગઢ મનપાના વોટરવર્કસ વિભાગની ગંભીર બેદરકારીથી જનતાના નાણાંનો વ્યય,વીજ બિલ મોડું ભરતા મનપાને ₹8 લાખનો દંડ, ઓડિટમાં અધિકારીઓની ગંભીર બેદરકારી ખુલ્લી પડી.

જૂનાગઢ મહાનગરપાલિકામાં વહીવટી શિથિલતા અને અધિકારીઓની બેદરકારીના કારણે પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાના વર્ષ 2020-21 ના સરકારી ઓડિટ અહેવાલમાં વોટરવર્કસ શાખાની ગંભીર ક્ષતિઓ સામે આવી છે, જેમાં સમયસર વીજ બિલ ન ભરાતા લાખો રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડી હોવાનું બહાર આવ્યું છે. ​સમયસર બિલ ન ભરાતા 8 લાખથી વધુનો દંડ વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વોટરવર્કસ શાખાના વિવિધ પંપિંગ સ્ટેશનોના આશરે ₹75 લાખ જેટલા વીજ બિલો સમયસર ભરવામાં આવ્યા નહોતા. અધિકારીઓની આ આળસને કારણે મહાનગરપાલિકાએ ₹8 લાખથી વધુની રકમ માત્ર પેનલ્ટી (દંડ) પેટે ચૂકવવી પડી છે. એક તરફ શહેરની જનતા નિયમિત ટેક્સ ભરે છે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓ પ્રાથમિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. સરકારી ઓડિટ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જે તે જવાબદાર અધિકારીની અંગત જવાબદારી નક્કી કરી આ દંડની રકમ તેમના પગારમાંથી વસૂલવી જોઈએ. ઓડિટમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે અન્ય બિનજરૂરી ખર્ચાઓ રોકીને પણ વીજ બિલ જેવા અનિવાર્ય ખર્ચાઓને પ્રાથમિકતા આપવી જોઈએ જેથી પેનલ્ટીથી બચી શકાય. આમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ જવાબદાર સામે પગલાં લેવામાં આવ્યા નથી, જે તંત્રની મેલી મિલીભગત તરફ આંગળી ચીંધે છે. ​કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપોનો મારો લલિત પરસાણાએ વોટરવર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેમની આવી અનેક ક્ષતિઓને કારણે મનપાને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ મામલે જ્યારે અલ્પેશ ચાવડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું, જે બાબત શંકા ઉપજાવે છે. ​ભવિષ્યમાં વધુ કૌભાંડો બહાર આવવાની શક્યતા વિપક્ષ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો પાસેથી વસૂલાત કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં મનપાના અન્ય વિભાગોમાં ચાલતા આવા આર્થિક નુકસાનના કિસ્સાઓ પણ ઉજાગર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:42 pm

ગઢડામાં ઉતરાયણ પૂર્વે ખરીદીનો માહોલ જામ્યો:પતંગ, દોરી, ચિકી અને શેરડીની દુકાનો પર ભીડ

મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઉતરાયણ પૂર્વે ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ગઢડાના બોટાદ ઝાંપા, નગરપાલિકા કચેરી સામે અને ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પતંગરસિયાઓ રંગબેરંગી પતંગો અને વિવિધ પ્રકારની દોરીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ઉતરાયણ પર્વને લઈને બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો પતંગ ઉડાડવા માટે ચશ્મા, ટોપી અને પપુડા જેવી સામગ્રી ખરીદી રહ્યા છે. બીજી તરફ, ઉતરાયણની પરંપરા મુજબ લોકો શેરડી, તલના લાડુ, મમરાના લાડુ અને ચિકી જેવી મીઠાઈઓ લેવા બજારમાં પહોંચ્યા છે. ઉતરાયણના પાવન પર્વને કારણે ગઢડાના બજારોમાં રોનક છવાઈ ગઈ છે અને સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:39 pm

લીમડી નજીક ખાનગી ટ્રાવેલ્સે બાઈકને અડફેટે લીધી, બાળકનું મોત:પતંગની ખરીદી કરવા ગયેલા પિતરાઈ ભાઈઓને અકસ્માત નડ્યો, યુવકને ગંભીરઈજા

દાહોદ જિલ્લાના લીમડી નજીક કાળીમહુડી ગામ નજીક આજે અકસ્માતની ઘટના બની હતી. ખાનગી ટ્રાવેલ્સે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતંગ લેવા નીકળેલા પિતરાઈ ભાઈઓ અકસ્માતનો ભોગ બન્યા છે. બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓને બસે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં 9 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલત નાજુક છે. હાલ તાત્કાલિક સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:36 pm

ઘેડના પ્રશ્ને મામલે 'આપ' આક્રમક, .:​'સરકારના વચનો ખોખલા, ઘેડને ફરી ડૂબાડવાની તૈયારી?' જેલમાં બંધ પ્રવીણ રામના પોસ્ટરો સાથે AAPનો કલેક્ટર કચેરીએ વિરોધ,

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની દયનીય સ્થિતિ અને પૂરના પ્રશ્ને આજે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ‘આપ’ના કાર્યકરો અને નેતાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર જેલમાં બંધ ‘આપ’ નેતા પ્રવીણ રામના પોસ્ટરો રહ્યા હતા. કાર્યકરોએ પ્રવીણ રામના પોસ્ટરો હાથમાં રાખી સરકારની દમનકારી નીતિનો વિરોધ કર્યો અને ઘેડના પ્રશ્ને સરકારને આડે હાથ લીધી હતી. ​સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારમાં પૂરના પાણીના કાયમી નિકાલ માટે સરકારે ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો હતો. જેમાં નદી-નાળા ઊંડા કરવા, સ્ટ્રક્ચર નિર્માણ અને જળ સંરક્ષણની વાતો કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રથમ તબક્કાની કામગીરી પણ હજુ 'પાપા પગલી' ભરી રહી છે. બીજા અને ત્રીજા તબક્કાનું કામ તો હજુ જોજનો દૂર જણાય છે. ​વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ' નેતાઓએ આક્ષેપ કર્યો કે જાહેર સભાઓમાં મોટા નેતાઓ આવીને 'મોદીની ગેરંટી'ની વાતો કરે છે, પરંતુ ઘેડના ખેડૂતો માટે આ ગેરંટી ક્યાંય દેખાતી નથી. ડિસેમ્બર 2024 થી માર્ચ 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ જૂન ૨૦૨૬ નજીક હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર પરિણામ દેખાતું નથી. ​આ આવેદનપત્ર દ્વારા આમ આદમી પાર્ટી મુખ્યત્વે માંગ કરે છે કે સરકાર દ્વારા ઘેડ વિસ્તારના વિકાસ અને પૂર નિયંત્રણ માટે અત્યાર સુધી જેટલું પણ બજેટ ફાળવવામાં આવ્યું છે અને જેટલી કામગીરી પૂર્ણ થઈ છે, તેની વિગતો દર્શાવતું 'શ્વેતપત્ર' સાર્વજનિક કરવામાં આવે. વહીવટી તંત્ર દ્વારા એસ્ટિમેટ, ટેન્ડર અને વર્ક ઓર્ડરની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી તેની જાણકારી જાહેર જનતાને આપવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. વધુમાં, જૂન ૨૦૨૬ પહેલા નદી-નાળા ઊંડા કરવાની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવે, જેથી ચોમાસામાં ફરી જાન-માલનું નુકસાન ન થાય. આમ આદમી પાર્ટીએ આકરા શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં સરકાર શ્વેતપત્ર જાહેર નહીં કરે અથવા કામગીરીમાં ગતિ નહીં લાવે, તો ઘેડ વિસ્તારના હિતમાં અને પ્રવીણ રામના માર્ગદર્શન હેઠળ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. એક વર્ષ પહેલા પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આજે ફરી 'આપ' દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ, કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા…

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:26 pm

સદર બજારમાં પતંગ - દોરીની ખરીદીમાં ભીડ:ફ્રાન્સથી વતન રાજકોટમાં મકરસંક્રાંતિ ઉજવવા આવ્યા, પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ

રાજકોટની સદર બજારમાં મકરસંક્રાંતિના પર્વને લઈ પતંગ અને દોરાની ખરીદી માટે લોકોનો ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં ફ્રાન્સથી સ્પેશ્યલ ઉતરાયણની ઉજવણી માટે યુવાન વતન રાજકોટ આવી પહોંચ્યો હતો તો પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટી પડતા બજારમાં રોનક જોવા મળી રહી છે. મૂળ રાજકોટના અને ફ્રાન્સમાં રહેતા NRI દેવન ભટ્ટે જણાવ્યું હતું કે, સ્પેશ્યલ મકર સંક્રાંતિની ઉજવણી કરવા માટે રાજકોટ આવ્યો છું. ફ્રાન્સમાં ઉતરાયણનો તહેવાર ઉજવાતો નથી. જેથી અહીં આ તહેવારમાં પતંગ ચગાવવા માટે આવી પહોંચ્યો છું. અહીં ખૂબ જ સારો માહોલ જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિના પતંગ ચગાવી આ તહેવારની મજા માણશું. જ્યારે યુવતી શ્રધ્ધાએ જણાવ્યું હતું કે, સદર બજારમાં અલગ અલગ પ્રકારની પતંગ મળી રહી છે. જેથી તેની ખરીદી માટે આવ્યા છીએ. અહીં ખરીદીનો માહોલ ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે. આવતીકાલે મકરસંક્રાંતિના દિવસે આ તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરશું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:24 pm

હુમલામાં ઘાયલ કડીના યુવકનું 37 દિવસ બાદ મોત:ફિલ્મી ઢબે સલૂનમાંથી અપહરણ કરી માર મરાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, હત્યાની કલમ ઉમેરવા માગ

કડીમાં ગત 3 ડિસેમ્બરના રોજ હેર સલૂનમાંથી ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કરી તેના પર જીવલેણ હુમલો કરવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અલ્ફાજ ઉર્ફે મકો કાઝીનું મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં 37 દિવસની લાંબી સારવાર બાદ કરુણ મોત નિપજતા મામલો ગરમાયો છે. યુવકના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે બીજી તરફ મૃતકની બહેને પોલીસ તપાસ સામે ગંભીર આક્ષેપો કરી અન્ય ફરાર આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. 3 ડિસેમ્બરે સલૂનમાંથી યુવકનું અપહરણ કરી હુમલો કરાયો હતોકડીના કસ્બા વિસ્તારમાં રહેતો અલ્ફાજ ગત 3 ડિસેમ્બરના રોજ રાત્રે તાજ રેસીડેન્સી સામે આવેલા સલૂનમાં દાઢી કરાવી રહ્યો હતો. તે સમયે કરીમ ઉર્ફે લાલો, સચીન ગોસ્વામી અને સકીલ પઠાણ નામના શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને અલ્ફાજ પર તલવાર તેમજ પાઇપ વડે હુમલો કરી તેને સ્વિફ્ટ કારમાં ઉઠાવી ગયા હતા. આરોપીઓએ તેને દેદીયાસણ નજીક લઈ જઈ ઢોર માર માર્યો હતો અને અર્ધમૃત હાલતમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. ધંધાકીય અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પરિવારજનોની હત્યાની કલમ ઉમેરવા માગજોકે યુવકના મોત બાદ તેની બહેન શબનમ બાનોએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ કેસમાં મુખ્ય સુત્રધાર ગિરી અને અરબાઝ મલેક હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વધુમાં તેણે આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગિરીએ એક મહિલાને મોકલી યુવકને નશીલા પદાર્થોનું સેવન કરાવી તેની હાલત વધુ બગાડી હતી. પરિવારે માંગ કરી છે કે, પોલીસ આ કેસમાં હત્યાની કલમ 302 ઉમેરે અને બાકીના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવામાં આવે. હાલમાં કડી પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પરિવારના ઉગ્ર વિરોધ કરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:23 pm

વાપીમાં રસ્તાના નવીનીકરણ-પહોળા કરવાની કામગીરી સામે રોષ:રસ્તાના કામમાં અન્યાયનો આક્ષેપ, આદિવાસી મહિલાઓએ કલેક્ટરને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી

વલસાડ જિલ્લાના વાપીમાં રસ્તાના નવીનીકરણ અને પહોળા કરવાની કામગીરી સામે સ્થાનિક આદિવાસી પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચલા ચોકડી ફળિયા વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે, આ કામગીરીમાં ગેરરીતિ થઈ રહી છે. તેમનો મુખ્ય આક્ષેપ છે કે, રસ્તો ખોદીને વ્યવસ્થિત બનાવવાને બદલે તેની પર જ નવું પડ થરવામાં આવ્યું છે, જેના કારણે રસ્તો ઘરના લેવલથી 3 થી 4 ફૂટ ઊંચો થઈ ગયો છે. પાલિકાના અધિકારીઓ દ્વારા રસ્તો વધુ પહોળો કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક આદિવાસીઓના ઘરો અને જમીનને નુકસાન થવાની ભીતિ છે. સ્થાનિકોની સંમતિ વગર જ વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગઈકાલે જ્યારે સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કર્યો અને આંદોલન પર બેઠા, ત્યારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરી મહિલાઓ અને એક સગીર બાળકી સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, તેમની ગેરહાજરીમાં જ પાલિકાએ જેસીબી મશીનો ફેરવીને કામગીરી આગળ વધારી દીધી હતી. આજે કલેક્ટર કચેરીએ પહોંચેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે રસ્તાના વિરોધી નથી, પરંતુ રસ્તો પહોળો કરવાના બહાને આદિવાસીઓના હક છીનવવામાં આવી રહ્યા છે. આ કામગીરી પાછળના બિલ્ડિંગોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. કલેક્ટરે આ મામલે યોગ્ય તપાસ કરવાની અને ભવિષ્યમાં કોઈપણ કામગીરી કરતા પહેલા સ્થાનિકોને વિશ્વાસમાં લેવાની ખાતરી આપી છે. જો કે, જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રહેવાસીઓએ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:15 pm

70થી વધુ કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ:કુણઘેર ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પતંગ મહોત્સવ યોજાયો

પાટણ જિલ્લાના કુણઘેર ગામે મંગળવારે પૂર્ણા યોજના અંતર્ગત 'પૂર્ણા ની ઉડાન' પતંગ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 70થી વધુ કિશોરીઓએ ભાગ લીધો હતો, જેમની હિમોગ્લોબિનની ચકાસણી પણ કરવામાં આવી હતી. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરે કિશોરીઓને પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાવી સ્વાસ્થ્ય અને પોષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સર્વાધિક હિમોગ્લોબિન ધરાવતી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, તમામ ભાગ લેનાર કિશોરીઓને પૂર્ણા લોગોવાળી ટી-શર્ટ, કેપ, પતંગ અને ફિરકી આપવામાં આવી હતી. પતંગો પર યોજના સંબંધિત સંદેશાઓ લખીને પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:14 pm

ચાઈનીઝ દોરીના ઉપયોગ સામે બાળકો જાગૃત:ચંદ્રુમાણા શાળામાં પતંગ ઉત્સવમાં પ્રતિજ્ઞા લેવડાવી

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામ સ્થિત પીએમ શ્રી પ્રાથમિક શાળામાં મંગળવારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન બાળકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પતંગ ઉત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ફીરકી અને પતંગ સાથે હૂંફાળા તડકામાં પતંગ ઉડાવવાનો આનંદ માણ્યો હતો. શાળાના નોટિસ બોર્ડ પર રંગબેરંગી પતંગોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયા અને શિક્ષકો દ્વારા બાળકોને ચાઈનીઝ દોરીના ગેરફાયદા સમજાવવામાં આવ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો એ ગુનો છે અને તે માનવજાત તેમજ પશુ-પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. બાળકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત, પતંગની દોરીથી આકાશમાં ઉડતા પક્ષીઓને થતા જોખમ અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. બાળકોને કાળજીપૂર્વક પતંગ ઉડાવવા અને જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તેને બચાવવા માટે કરુણા અભિયાન સારવાર કેન્દ્ર પર મોકલી આપવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 7:00 pm

ઉત્તરાયણ પર્વ નિમિતે પક્ષી બચાવ અભિયાન શરૂ:ભાવનગર જિલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળશે

ઉત્તરાયણ પર્વ નજીક આવતા ભાવનગર શહેર અને જિલ્લામાં પક્ષી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી અને ભાવનગર જિલ્લા વન વિભાગના સહયોગથી આ અભિયાન ચલાવવામાં આવશે. ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. પતંગોત્સવ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આવા પક્ષીઓને બચાવવા માટે જીવદયા રક્ષકો પણ સેવા આપવા તત્પર છે.આ હેતુસર ડોક્ટર અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે ચાર હેલ્પલાઇન વાન સતત ફરતી રહેશે. ઉપરાંત, ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જીવદયા રક્ષકો પણ સેવારત રહેશે. જો કોઈને પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષી નજરે પડે, તો પ્રેરણા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર 6356371000 પર ફોન કરીને મદદ મેળવી શકાશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:48 pm

મહાશિવરાત્રી મેળાના આયોજનની તૈયારીઓ તેજ.:કલેક્ટર , એસપી, કમિશ્નર સહિતના કાફલાએ ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી, નડતરરૂપ દબાણો દૂર કરવા આદેશ, મૃગીકુંડમાં સાધુ સંતોના શાહીસ્નાન માટે યોગ્ય વ્યવસ્થા કરાશે.

જૂનાગઢની પાવન તપોભૂમિ ગિરનારની તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન ‘મહાશિવરાત્રી મેળા’ને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે લીલી પરિક્રમા રદ રાખવામાં આવી હતી, જેથી શિવરાત્રી મેળામાં ભાવિકોનો ભારે ધસારો રહેવાની શક્યતા છે. આ બાબતને ગંભીરતાથી લઈ ભાવિકોની સુરક્ષા, સલામતી અને સુવિધા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર, પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ભવનાથ ક્ષેત્રની સંયુક્ત વિઝીટ યોજી હતી. તંત્ર દ્વારા રૂટ અને પાર્કિંગનું સઘન નિરીક્ષણમેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અધિકારીઓના કાફલાએ ભવનાથ મૃગીકુંડ, જિલ્લા પંચાયત પાસે આવેલ પાર્કિંગ પ્લોટ અને સોનાપુરી જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સનું ચોકસાઈપૂર્વક મોનિટરિંગ કરવામાં આવ્યું છે. સાધુ-સંતોના સ્નાન માટે મૃગીકુંડની વ્યવસ્થામહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ રવેડી અને મૃગીકુંડમાં થતું શાહી સ્નાન છે. આ પરંપરાગત વિધિમાં સાધુ-સંતોને પૂરતી સુવિધા મળે અને લાખો શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય નિહાળી શકે તે માટે મૃગીકુંડ અને ભવનાથ મંદિર પટાંગણમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં નડતરરૂપ હોય તેવા જૂના સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા છે, જેથી રવેડીના માર્ગમાં કોઈ અવરોધ ન આવે. દબાણ હટાવવા કલેક્ટરની કડક સૂચનાભવનાથ ક્ષેત્રમાં વર્ષોથી રહેલા નડતરરૂપ દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે, આગામી સમયમાં પણ જે કોઈ કાચા-પાકા દબાણો મેળાની વ્યવસ્થામાં કે ટ્રાફિકમાં અવરોધ ઊભા કરતા હશે, તેને વહેલી તકે દૂર કરવામાં આવશે. મેળાના માર્ગોને ખુલ્લા અને સુગમ બનાવવા માટે તંત્ર મક્કમ છે. ભવનાથ મંદિરનું વિશેષ સુશોભન અને લાઈટિંગઆ વર્ષે મહાશિવરાત્રીના પાવન અવસરે ભવનાથ મહાદેવના મંદિરને ભવ્ય રીતે શણગારવાનું આયોજન છે. રાત્રિના સમયે આખું ભવનાથ ક્ષેત્ર ઝગમગી ઉઠે તે માટે અત્યાધુનિક લાઈટિંગ વ્યવસ્થા કરવામાં આવશે. કલેક્ટરે સાધુ-સંતો અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે સંકલન સાધીને સુશોભનના પ્લાનિંગ અંગે ચર્ચા કરી હતી. પોલીસ તંત્ર દ્વારા મેળાના રૂટનું નિરીક્ષણ લાખોની મેદનીને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા મેળાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા, વોચ ટાવર અને પાર્કિંગ વ્યવસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને સોનાપુરી અને જિલ્લા પંચાયત પાર્કિંગમાં વાહનોના જથ્થાને મેનેજ કરવા માટે અલગથી ટીમ તૈનાત કરવામાં આવશે. સાધુ-સંતોની સુવિધાથી લઈને સામાન્ય નાગરિકની સલામતી માટે ચર્ચાવહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ચારથી વધુ વખત સ્થળ મુલાકાત લેવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને મેળાને યાદગાર અને સુરક્ષિત બનાવવાની નેમ છે. સાધુ-સંતોની સુવિધાથી લઈને સામાન્ય નાગરિકની સલામતી સુધીની તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી આખરી શરૂ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:48 pm

ડ્રગ્સ મુક્ત ગુજરાત માટે મહત્વનો નિર્ણય:ગુજરાત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રગ્સની બાતમી આપવા માટે નવો વોટ્સએપ નંબર જાહેર

ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ માફિયાઓ સામે જંગ છેડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સક્રિયપણે કાર્યરત છે. આ લડાઈમાં સામાન્ય જનતાની ભાગીદારી વધારવા માટે ANTF દ્વારા હવે એક સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ જાગૃત નાગરિક ડ્રગ્સના વેચાણ, હેરાફેરી કે અન્ય કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગેની માહિતી 99040 01908 વોટ્સએપ નંબર પર આપી શકશે. આ ઉપરાંત, નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 પર કોલ કરીને પણ વિગતો જણાવી શકે છે. ગુપ્તતાની સંપૂર્ણ ખાતરી પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માહિતી આપનાર નાગરિકની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. નાગરિકોની એક નાનકડી બાતમી ગુજરાતના યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે મોટું યોગદાન આપી શકે છે. સોશિયલ મીડિયા પર જાગૃતિ ANTF માત્ર ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા જ નહીં, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને વ્યસનમુક્તિ માટે પણ કાર્ય કરી રહી છે. નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક પર antfgujarat, X (ટ્વિટર) પર @antfgujarat અને ઇન્સ્ટાગ્રામ પર @antf_gujarat ને ફોલો કરીને આ ઝુંબેશમાં સહભાગી બની શકે છે. રાજ્યને નશામુક્ત બનાવવા માટે પોલીસ અને જનતાનું આ સંકલન નિર્ણાયક સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:43 pm

પોરબંદરમાં 9 પેઢીમાંથી 15 ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા:મકરસંક્રાંતિ પૂર્વે ગુણવત્તા ચકાસણી માટે કાર્યવાહી

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસણી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ, શહેરની 9 પેઢીઓમાંથી ગોળ, તલ, ચીકી, ફાફડા-ગાંઠિયા, જલેબી, ઉંધીયું અને રો મટિરિયલ્સ સહિત કુલ 15 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ અભિયાન મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નગરજનોના આરોગ્ય સાથે કોઈ જોખમ ન સર્જાય તે હેતુથી ચલાવવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર વિજય ઠકરાર અને તેમની ટીમે શહેરમાં વિવિધ મીઠાઈ અને નાસ્તાની દુકાનો તેમજ ખાદ્ય પદાર્થોના ઉત્પાદન સ્થળોની તપાસ કરી હતી. મકરસંક્રાંતિ દરમિયાન લોકો મોટા પ્રમાણમાં ગોળ-તલ, ચીકી, ફાફડા-ગાંઠિયા, જલેબી અને તૈયાર શાક ઉંધીયું જેવા પદાર્થોનું સેવન કરતા હોય છે. આ દૃષ્ટિએ, આરોગ્ય વિભાગે લોટ અને મસાલા જેવા રો મટિરિયલ્સ સહિતના 15 ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કર્યા હતા. લેવાયેલા તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રયોગશાળાના અહેવાલના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર વિજય ઠકરારે નાગરિકોને સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા, શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવા અને તહેવારોમાં શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખોરાક જ વાપરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:38 pm

સરકારી શાળાના વિદ્યાર્થીઓનું 50 વર્ષે સ્નેહમિલન:ગુરુ વંદના સાથે જૂની યાદો તાજી કરી

સરકારી માધ્યમિક શાળા, સેક્ટર-16ના 1976 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રવિવાર, 11મી તારીખે સ્વામી સચ્ચિદાનંદજી બ્રહ્મભવન, સેક્ટર-16 ખાતે સ્નેહમિલન અને ગુરુ વંદના સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહ તેમની 50 વર્ષ પૂર્વે શરૂ થયેલી શિક્ષણ યાત્રાની સ્મૃતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર, અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને ન્યૂજર્સી, અમેરિકાથી આવેલા 51 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને 6 ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ગુરુજનોનું ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરીને સભાખંડમાં ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને ગુરુજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળાના દિવસોની પ્રવૃત્તિઓ અને જૂની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ તેમના જીવન ઘડતરમાં ગુરુજનોના મહત્વપૂર્ણ યોગદાનને સન્માનિત કર્યું હતું. ગુરુજનોને પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુરુજનોએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓના જીવનમાં પ્રગતિ અને સંસ્કાર જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. આ સ્નેહમિલન દરમિયાન ઉપસ્થિત સૌની આંખો ભાવથી ભીની થઈ હતી. ગુરુજનોએ વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ કરવા અને સમાજને ઉપયોગી બનવાના આશીર્વાદ આપ્યા હતા. ગુરુજનોના હસ્તે વિદ્યાર્થીઓને મોમેન્ટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરુજનો તથા મિત્રોના અવસાનની નોંધ લઈને બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ગીત-સંગીતનો મનોરંજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મિત્રોએ જૂના ફિલ્મી ગીતો ગાઈને વાતાવરણ જીવંત બનાવ્યું હતું. બહેનો અને ભાઈઓના ગ્રુપ બનાવીને અંતાક્ષરીની રમઝટ બોલાવીને સૌએ ખૂબ આનંદ કર્યો હતો. કાર્યક્રમનો અંત ચા-બિસ્કિટ સાથે થયો અને આવતા વર્ષે ફરી મળવાના સંકલ્પ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:37 pm

રતુભાઈ અદાણી શાળામાં પતંગોત્સવની ઉજવણી:બાળકોએ પતંગ બનાવી મેળવી વ્યવસાયિક સજ્જતાની કેળવણી

મકરસંક્રાંતિના પર્વ પૂર્વે શહેરની રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295 માં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં તહેવારોના ઉત્સાહની સાથે કૌશલ્ય વર્ધન અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ માત્ર પતંગ ચગાવવાની મજા જ નહીં, પરંતુ જાતે પતંગ બનાવીને 'વ્યવસાયિક સજ્જતા'ની તાલીમ પણ મેળવી હતી. કાગળ, વાંસની સળીઓ અને ગુંદરનો ઉપયોગ કરીને બાળકોએ આકર્ષક પતંગો બનાવી પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને હસ્તકલા અને આત્મનિર્ભરતાના પાઠ શીખવવામાં આવ્યા. ઉતરાયણના તહેવાર દરમિયાન થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને, શાળાના મુખ્ય શિક્ષક પંકજભાઈ ત્રિવેદી દ્વારા બાળકોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ચાઇનીઝ દોરી કે કાચ પાયેલા જોખમી માંજાનો ઉપયોગ ટાળવા, રસ્તા પર પતંગ પકડવા ન દોડવા, ગળામાં મફલર કે પટ્ટી બાંધવા અને પક્ષીઓને નુકસાન ન થાય તે રીતે પર્વની ઉજવણી કરવા જણાવ્યું હતું. શાળા દ્વારા લેવામાં આવેલી આ પહેલને વાલીઓએ પણ બિરદાવી હતી. બાળકો શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન અને સામાજિક જવાબદારી પણ શીખે તેવા ઉમદા આશય સાથે આ પતંગોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:34 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘Autonomous Hacks 26’ હેકાથોન યોજાઈ:યુવા પ્રતિભાઓએ વર્તમાન સમસ્યાઓના AI સોલ્યુશન્સ શોધ્યા

સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે 'AutonomousHacks' Agentic AI હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના વિદ્યાર્થીઓએ ૩૬ કલાક સુધી સતત કામ કરીને વર્તમાન સમસ્યાઓ માટે ટેકનિકલ ઉકેલો રજૂ કર્યા. ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાની દ્રષ્ટિ સાથે આ હેકાથોન યોજાઈ હતી. આ સ્પર્ધાની વિશેષતા એ હતી કે વિજેતાઓની પસંદગી માનવીય નિર્ણાયકોને બદલે 'Agentic AI' દ્વારા કરવામાં આવી હતી. 'ટીમ AML' એ પ્રથમ સ્થાન, 'ટીમ ટેક-સર્ફર્સ' એ દ્વિતીય સ્થાન અને 'ટીમ એપેક્સ' એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. વિજેતા ટીમોને રોકડ પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન એક ખાસ પ્રદર્શન (વોકથ્રુ) પણ યોજાયું હતું, જ્યાં અન્ય વિદ્યાર્થીઓ અને મહેમાનોએ ટીમોના પ્રોજેક્ટ્સ નિહાળ્યા. મુલાકાતીઓએ હેકાથોનની કાર્યપ્રણાલી અને પ્રોજેક્ટ્સમાં વપરાયેલી ટેકનોલોજી વિશે જાણકારી મેળવી, જેણે તેમને ભવિષ્યના સંશોધનો માટે પ્રેરિત કર્યા. સિલ્વર ઓક યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય અગ્રવાલે વિદ્યાર્થીઓના નવતર વિચારોની પ્રશંસા કરી. વિજેતાઓને કુલ 1.5 લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા ડૉ. સાત્વિક ખારાએ પોતાના આઈડિયા પરથી સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ૨૦ લાખ રૂપિયા સુધીના સીડ ફંડિંગની જાહેરાત કરી. આ માટેની કાર્યવાહી પણ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે, જે યુવા પ્રતિભાઓ માટે પ્રગતિનું એક મોટું માધ્યમ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:32 pm

કાથરોટાના 'ડિજિટલ ગુરુ' બળદેવપરી સાહેબનું સન્માન:તેમને 'અસલી હીરો' અભિયાન હેઠળ બહુમાન મળ્યું

કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષક બળદેવપરી સાહેબનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું. 'આ છે અમારો અસલી હીરો' અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં તેમને મોમેન્ટો અને શાલ અર્પણ કરી બહુમાન કરાયું હતું. બળદેવપરી સાહેબની શૈક્ષણિક કારકિર્દી અનેક સિદ્ધિઓથી ભરેલી છે. ગત 5 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે તેમને 'ડિજિટલ ગુરુ'નો એવોર્ડ એનાયત થયો હતો.તેમને બે વાર રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા પણ તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. આ સન્માન કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ, એટલે કે 'રાષ્ટ્રીય યુવા દિવસ'ના અવસરે યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો, શાળા વ્યવસ્થાપક ટ્રસ્ટ મંડળ અને શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેશોદ તાલુકાના યુવા સરપંચ અને મારુતિ શૈક્ષણિક સંકુલ (બાટવા) ના રાજુભાઈ બોરખતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સાહેબનું વિશેષ સન્માન કર્યું હતું. ડોક્ટર વિરેન્દ્ર ભટ્ટ સાહેબે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે બળદેવપરી સાહેબ જેવા શિક્ષકો સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે સાહેબના કાર્યોની પ્રશંસા કરી હતી.'ડિજિટલ ગુરુ' બળદેવપરી સાહેબનું આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ જગત અને શિક્ષકોની નિષ્ઠાનું સન્માન ગણાય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:29 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કાઇટ ફેસ્ટિવલમાં રાની-ઇમરાન હાશ્મીનો જલવો, દાસના ખમણ પર તવાઈ, નારોલમાં યુવકને અધમૂઓ કર્યો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:27 pm

ડોંગરેજી શાળાના બાળકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાયા:નવલખી ખાતે યોજાયેલા મહોત્સવમાં શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

વડોદરાના નવલખી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મુલાકાત કોર્પોરેટર જાગૃતિબેન કાકાના સૌજન્યથી શક્ય બની હતી. મહોત્સવના ઉદ્ઘાટન અને સંબોધન સાંભળી બાળકોનો ઉત્સાહ વધ્યો હતો. આ પ્રસંગે વડોદરાના સાંસદ, મેયર, અકોટાના ધારાસભ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી, સમિતિ સભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ દેશોમાંથી પધારેલા પતંગ રસિકો તેમજ યુટ્યુબ બ્લોગર્સ જયેશભાઈ મોચી અને સંગીતા મોચીએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે બાળકો સાથે ફોટો પડાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકોને અલ્પાહાર અને ઠંડુ પીણું પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:26 pm

બ્રહ્મકુમારીઝ સંસ્થા પર યુવતીના ગંભીર આરોપ:‘પ્રસાદમાં કાઈક ખવડાવી મારી સાથે અઘટિત કર્યું’, સંસ્થાએ વળતો પ્રહાર - ‘તેનું માનસિક સંતુલન ખરાબ, VIP એન્ટ્રી બંધ કરતાં સંસ્થાને બદનામ કરવાનું કાવતરું’

જાણીતી આધ્યાત્મિક સંસ્થા બ્રહ્મકુમારીઝ ફરી એકવાર વિવાદમાં આવી છે. પોતાને હિરોઈન ગણાવતી અંકલેશ્વરની એક ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ અને મોડેલે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર સેન્ટરના એક સેવક પર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ, સંસ્થાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. પ્રસાદમાં કંઈક ખવડાવી અઘટિત કૃત્ય કર્યું : યુવતીઅંકલેશ્વરની આ યુવતીએ રાજસ્થાનના ઝાલોરમાં પત્રકાર પરિષદ યોજીને બ્રહ્મકુમારીઝ સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેના જણાવ્યા અનુસાર માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના કિચનમાં સેવા આપતા અમિત નામના વ્યક્તિએ તેને પ્રસાદમાં કંઈક નશીલું દ્રવ્ય ખવડાવી દીધું હતું. ત્યારબાદ બે કલાક સુધી તે બેભાન અવસ્થામાં હતી અને હોશમાં આવતા અમિત ભાઈ તેની પાસે હતા. યુવતીનો આરોપ છે કે તેની સાથે અઘટિત કૃત્ય કરવામાં આવ્યું છે અને તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવામાં આવી રહી છે. તેણીએ આબુ અને ગુજરાત પોલીસ પર પણ સહકાર ન આપવાનો અને ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે ઘટના બાદ યુવકે તેને ફોન અને વીડિયો કોલ પર વાત કરવા દબાણ કર્યું અને બદનામ કરવાની ધમકી આપી. આ અંગે સંસ્થાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં અડચણ આવતાં, મહિલાએ રાજસ્થાનના ઝાલોરમાં પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલો જાહેરમાં લાવ્યો હતો. તેણે ભરૂચ સહિતની બ્રહ્માકુમારી સંસ્થાની કેટલીક 'દીદીઓ' તરફથી પણ ધમકીઓ મળતી હોવાનો દાવો કર્યો છે. બ્રહ્મકુમારીઝ સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ : પ્રભાદીદીઆ આરોપો બાદ બ્રહ્મકુમારીઝ સંસ્થાના આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદી અને અંકલેશ્વર સેન્ટરના અનિલા દીદીએ ભરૂચના ઝાડેશ્વર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સંસ્થાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે યુવતી તેના માતા-પિતા સાથે સંસ્થામાં આવતી હતી અને એક્ટ્રેસ હોવાનો રોફ મારી VIP એન્ટ્રી અને ટ્રીટમેન્ટ મેળવતી હતી. યુવતીના ચાલ-ચલણ યોગ્ય ન હોવાથી અને સંસ્થામાં ધાક-ધમકીઓ આપતી હોવાથી તેને આબુ અને અંકલેશ્વર સેન્ટર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. આ જ કારણથી તે સંસ્થાને બદનામ કરી રહી છે. 2024માં યુવતી વિરુદ્ધ સંસ્થાએ પોલીસમાં અરજી આપી હતીનોંધપાત્ર છે કે આ યુવતી અગાઉ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં કાર સળગાવી દેવાના વિવાદમાં પણ ચર્ચામાં આવી ચૂકી છે. વર્ષ 2024માં પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ યુવતી વિરુદ્ધ અપશબ્દો બોલવા અને હેરાનગતિ કરવા બદલ બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા અરજી આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા યુવતી વિરુદ્ધ માઉન્ટ આબુમાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇબ્રહ્મકુમારીઝ સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાન સરોવરના સેવક પર લાગેલા તમામ આરોપો ખોટા છે. યુવતી ખોટી એક્ટિંગ કરીને સંસ્થાની છબી ખરડાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે હવે સંસ્થા દ્વારા આબુમાં યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:23 pm

અમરાઈવાડીની શાળાઓમાં પતંગોત્સવની ઉજવણી:શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદના અમરાઈવાડીના સત્યમનગર વિસ્તારમાં આવેલી રૂપાબા વિદ્યામંદિર સ્કૂલ, વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને સનફ્લાવર ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.શાળા દ્વારા વિદ્યાર્થીઓને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો પોતાના ઘરેથી દોરા, તલ અને સિંગની ચિક્કી લઈને આવ્યા હતા.શાળાના સંચાલક નિલયભાઈ શુક્લા અને નિશાંતભાઈ ગજ્જરે વિશેષ ઉપસ્થિત રહી બાળકો સાથે પતંગ ચગાવ્યા હતા, જેનાથી બાળકોનો ઉત્સાહ વધ્યો હતો.કાર્યક્રમના અંતે, બાળકો અને શિક્ષકોએ નાસ્તો કર્યો હતો. આ પ્રસંગે બાળકોને ઉત્તરાયણમાં પક્ષીઓ અને અન્ય જીવોને નુકસાન ન થાય તે અંગે સલાહ આપવામાં આવી હતી.કાર્યક્રમ સમાપ્તિ પર, શાળાના આચાર્ય આર. ડી. દરજીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:21 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ગૂગલ AI મેગા હેકાથોન યોજાઈ:દેશભરના યુવાનો માટે 'AutonomousHacks'નું આયોજન

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ગૂગલ ફોર ડેવલપર્સ દ્વારા નેશનલ લેવલ AI મેગા હેકાથોન 'AutonomousHacks'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GDG ઓન કેમ્પસ સિલ્વર ઓક યુનિવર્સિટી, GDG ગાંધીનગર અને GDG ક્લાઉડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થયો હતો. આ પ્રસંગે IBM ઇન્ડિયાના પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. રીંકેશ બંસલ અને ઈટર્નલ વેબના ડિરેક્ટર નીરવ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સિલ્વર ઓક યુનિવર્સિટીના એડવાઇઝર ડૉ. એમ. એન. પટેલ અને કોલેજ ઓફ ટેક્નોલોજીના ડીન ડૉ. સાત્વિક ખારાએ પણ હાજરી આપી યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ૩૬ કલાકની હેકાથોન માટે દેશભરમાંથી 2000થી વધુ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંપૂર્ણ AI આધારિત મૂલ્યાંકન દ્વારા પસંદ કરાયેલા ૩૦૦થી વધુ પ્રોફેશનલ AI ડેવલપર્સ, સ્ટુડન્ટ્સ અને ઇનોવેટર્સને ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેવાની તક મળી હતી. આ ઇવેન્ટની એક મુખ્ય વિશેષતા તેનું અત્યાધુનિક સંચાલન હતું. ભારતમાં પ્રથમ વખત, કોઈ હેકાથોનની સંપૂર્ણ પ્રક્રિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટથી લઈને અંતિમ પરિણામ સુધી, સંપૂર્ણ રીતે AI એજન્ટ્સ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વક્તવ્યમાં એજેન્ટિક AI અને ભારત સરકારના 'IndiaAI Mission' ના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે 'મેકિંગ AI ઇન ઇન્ડિયા અને મેકિંગ AI વર્ક ફોર ઈન્ડિયા'ના ધ્યેય સાથે રાષ્ટ્રીય વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:20 pm

બગસરા નગરપાલિકાના પ્રમુખ મહિલા પણ નિર્ણયો પતિ લેતા હોવાનો આક્ષેપ:હાઇકોર્ટમાં અરજી થતા તપાસના નિર્દેશ, કોર્ટે કહ્યું- ચૂંટણી લડવાની યોગ્યતા ન હોય તો ચૂંટણી લડવી જોઈએ નહીં

ગુજરાત હાઇકોર્ટમાં બગસરાના એક રહેવાસીએ એડવોકેટ સિદ્ધાંત પારાસર મારફતે અરજી દાખલ કરી છે. જેમાં જણાવ્યું છે કે બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા છે. પરંતુ તેમની જગ્યાએ તેમના પતિ અરવિંદભાઈ રીબડીયા પ્રમુખ તરીકે કાર્ય કરે છે. આમ તેઓ એક પ્રોક્સી પ્રમુખ છે. આ સંદર્ભે અરજીમાં કમિશનર નગરપાલિકા, કમિશનર મ્યુનિસિપાલટી, બગસરા મ્યુનિસિપાલટી અને હાઇકોર્ટના આદેશથી વર્તમાન પ્રમુખ જ્યોત્સનાબેન રીબાડીયાને જોડવામાં આવ્યા છે. અરજદારે 16 જુન, 2025ના રોજ સંલગ્ન ઓથોરિટી સમક્ષ આ સંદર્ભે તપાસ કરી પગલાં લેવા માટે રજૂઆત કરી હતી. પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા તેને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. મહિલા પ્રમુખના પતિ નગરપાલિકાના નિર્ણયો લેતા હોવાની રજૂઆતઅરજીમાં તેઓએ જણાવ્યું છે કે મહિલા પ્રમુખ વતી તેમના પતિ નગરપાલિકાના નિર્ણયો લે છે. ઠરાવ પણ તેઓ જ કરે છે. જેના ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમાં દેખાય છે કે તેઓ પ્રેસ મીડિયાને પણ સંબોધન કરી રહ્યા છે અને પ્રમુખની ખુરશી ઉપર બેઠા છે. એવોર્ડ પણ તેઓ જાતે લઈ રહ્યા છે. અરજદાર દ્વારા આક્ષેપ કરાયો છે કે, મહિલા પ્રમુખના પતિ નગરપાલિકામાં ખોટા બિલો બનાવે છે અને ઘાલમેલ કરે છે. નગરપાલિકાને મળતા ફંડનો દુરુપયોગ કરે છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ તેમની પર કરવામાં આવ્યા છે. સાથે જ આ બાબતે તેમની સાથે નગરપાલિકાના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જેને લઇને નાગરિકો અને નગરપાલિકાને નુકસાન થઈ રહ્યું હોવાનું અરજદારનું કહેવું છે. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા પ્રમુખ નગરપાલિકામાં આવતા નથી અને તેમના પતિ જ બધું કાર્ય કરે છે. ચૂંટણી લડવાની યોગ્યતા ન હોય તો મહિલાએ ચૂંટણી લડવી જોઈએ નહીં- હાઈકોર્ટબગસરા નગરપાલિકાના વકીલે જણાવ્યું હતું કે, આક્ષેપ સાચા નથી તેની તપાસ કર્યા બાદ જ તેમાં કેટલું વજુદ છે તે ખબર પડે. હાઇકોર્ટે કહ્યું હતું કે જો ચૂંટણી લડવાની યોગ્યતા ન હોય તો મહિલાએ ચૂંટણી લડવી જોઈએ નહીં. કેવી રીતે મહિલા પ્રમુખની ખુરશી ઉપર તેમના પતિ બેસી શકે ! હાઇકોર્ટે રીજીયોનલ કમિશનર મ્યુનિસિપાલટીને આ સંદર્ભે તપાસ કરીને કાયદા મુજબ પગલાં લેવા નિર્દેશ આપ્યા છે . ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત હુકમ કરનાર મહિલા જજ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને નોંધ્યું કહ્યું હતું કે જો તેઓ થોડો સમય વધુ હોત તો રિજીયોનલ કમિશનરને રૂબરૂ હાઇકોર્ટમાં બોલાવત.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:18 pm

PTC તાલીમાર્થીઓએ બાળકોને શિક્ષણ આપ્યું:પૂજ્ય ડોંગરેજી શાળામાં 8 દિવસીય ઈન્ટર્નશીપ સફળતાપૂર્વક પૂર્ણ

સરકારી બુનિયાદી અધ્યાપન મંદિર, સુરસાગરના PTC તાલીમાર્થીઓએ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં 8 દિવસીય ઈન્ટર્નશીપ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ તાલીમ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી. તાલીમાર્થીઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને બાળકોને વિવિધ વિષયોનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પ્રાર્થના સભાને દરરોજ નવું જ્ઞાન, જોડકણાં, ઉખાણાં, બાળગીત, સમાચાર અને વિવિધ રમતગમત દ્વારા જીવંત બનાવી હતી. આનાથી શાળામાં રોચક શૈક્ષણિક વાતાવરણ ઊભું થયું હતું. આ ઈન્ટર્નશીપ દરમિયાન તાલીમાર્થીઓએ શાળામાં શિક્ષણ કાર્યનો સુંદર અનુભવ મેળવ્યો હતો, જે તેમના ભવિષ્યના શૈક્ષણિક કાર્ય માટે ખૂબ ઉપયોગી બનશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:17 pm

વિદ્યાર્થીઓએ હેન્ડમેડ પતંગ બનાવ્યા:સંસ્કાર વિદ્યામંદિરમાં કાઈટ ફેસ્ટિવલ ઉજવાયો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા સંસ્કાર વિદ્યામંદિરમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરી હતી. આ અંતર્ગત, વિદ્યાર્થીઓએ હાથથી બનાવેલા પતંગોનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાગળ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પોતાની કલા કૌશલ્ય વડે આકર્ષક પતંગો બનાવ્યા હતા. તેમણે વિવિધ ડિઝાઇન અને આકારોના પતંગો તૈયાર કરીને પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ભારતીય તહેવારો પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારવાનો હતો. શાળાએ આ કાઈટ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત કલા અને હસ્તકલા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:14 pm

એચ.એ. કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઈ:164મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજની સ્થાપનાના 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ એનએસએસ દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે સ્વામી વિવેકાનંદના જીવન અને કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ નાની ઉંમરથી જ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. તેઓ પ્રતિભાસંપન્ન અને શ્રુતિધર હતા, જેમની યાદશક્તિ અદ્ભુત હતી. તેઓ રામાયણ, મહાભારત, ભગવદગીતા અને ઉપનિષદો વિશે સચોટ વ્યાખ્યાનો આપતા હતા. રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવ્યા બાદ તેમણે ધર્મના પ્રચાર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાની સ્થાપના કરી હતી. આ પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્ય અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો સમાવેશ થાય છે. પરિવ્રાજક તરીકે તેમણે સમગ્ર ભારતની યાત્રા કરી, જેમાં ઘણા સંતો, રાજાઓ અને વિદ્વાનો સાથે વિચારોની આપ-લે કરી. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે અમદાવાદ, લીંબડી, દ્વારકા, પોરબંદર સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તેમનો મુખ્ય સિદ્ધાંત આત્મમુક્તિ અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેના વિચાર સાથે રામકૃષ્ણ મિશનની શરૂઆત કરવાનો હતો. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પ્રવચનમાં તેમણે ભારતના પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ કરીને 'વસુધૈવ કુટુમ્બકમ્'નો વિચાર વ્યક્ત કર્યો હતો. સ્વામી વિવેકાનંદને આધુનિક ભારતના ઘડવૈયા અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને પોતાના વિચારોથી વેગ આપનાર મહાનુભાવ તરીકે યાદ કરવામાં આવે છે.આ કાર્યક્રમનું આયોજન કરનાર એનએસએસના વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. ચેતન મેવાડા અને પ્રો. એચ.બી. ચૌધરીએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:13 pm

ઊનની શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી:સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

ઊન ખાતે આવેલી રતુભાઈ મૂળશંકર પ્રાથમિક શાળા ક્રમાંક: 295માં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારોનું સિંચન કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા સ્વામી વિવેકાનંદની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓએ સ્વામીજીના જીવનના પ્રસંગો અને તેમના પ્રેરણાદાયી સુવિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે યુવાનો અને રાષ્ટ્ર નિર્માણ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સુંદર વક્તવ્ય આપ્યા. વિદ્યાર્થીઓએ સ્વામીજીના અમર સંદેશા, જેમ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ના પ્લેકાર્ડ્સ બનાવીને પ્રદર્શન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના આગ્રહી હતા. આ ભાવનાને અનુરૂપ, શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને સૂર્ય નમસ્કારનું પ્રદર્શન કર્યું.શાળાના આચાર્ય પંકજ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે આજનો વિદ્યાર્થી આવતીકાલનો જવાબદાર નાગરિક છે. તેમણે ઉમેર્યું કે જો વિદ્યાર્થીઓ સ્વામીજીના આત્મવિશ્વાસ અને દેશપ્રેમના ગુણોને આત્મસાત કરે, તો ભારત ચોક્કસપણે વિશ્વગુરુ બની શકે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક બિંદીયાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:12 pm

પાટણમાં વિવેકાનંદ જયંતિએ 'વેદાંતની સિંહગર્જના' પર વક્તવ્ય:સિદ્ધપુરના રમેશ જોષીએ સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ પર પ્રકાશ પાડ્યો

પાટણમાં 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે 'વેદાંતની સિંહગર્જના' વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા આ કાર્યક્રમમાં સિદ્ધપુરના વતની અને સંઘ પ્રચારક વિદ્વાન વક્તા રમેશભાઈ જોષીએ પ્રવચન આપ્યું હતું. તેમણે 'ભારતનું વિરલ વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદજીના વેદાંતની સિંહગર્જના' વિષય પર વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે રમેશભાઈ જોષીએ 12 જાન્યુઆરી 1863ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મથી લઈને તેમના જીવનના વિવિધ પ્રસંગોનું ટૂંકમાં વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિવેકાનંદજીને બાળપણથી જ માતા-પિતા અને દાદા તરફથી આધ્યાત્મિક, સંસ્કારલક્ષી, વિદ્યાનુરાગી અને ધર્માનુરાગી લક્ષણો વારસામાં મળ્યા હતા. વક્તાએ 1863 થી 1884 દરમિયાન તેમના વિદ્યાભ્યાસના પ્રસંગો, વાંચન અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ તેમજ તેમની પ્રખર બૌદ્ધિક શક્તિ વિશે વાત કરી હતી. 1884 થી 1888 સુધી ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેના તેમના વિવિધ પ્રસંગો અને ગુરુના ઉપદેશોના પ્રચાર-પ્રસારની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને, તેમણે ગુરુજીના 'દયા અને કરુણાના ભાવથી નહીં, પરંતુ શિવત્વના ભાવથી સેવા કરવી' તે ઉપદેશને પોતાના જીવનમાં ઉતાર્યો હતો. 1888 થી 1892 સુધી સ્વામી વિવેકાનંદે ભારતભ્રમણ કરીને દેશની પરિસ્થિતિ જાણી અને સમજી હતી. તેમણે હિન્દુ સમાજનું દર્શન લોકોને કરાવવાનો નિર્ધાર કર્યો હતો. 11 સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગો ખાતે યોજાયેલી ધર્મસંસદમાં તેમણે વેદાંત, સનાતન અને હિન્દુધર્મની સિંહગર્જના કરી હતી. ત્યારથી 2002 સુધી તેમણે દેશ-વિદેશમાં વેદાંતનું જ્ઞાન પીરસ્યું હતું. તેમણે નિર્ભયતા, શારીરિક ક્ષમતા, જાતિવાદ, અંધશ્રદ્ધા, પંથવાદ અને ધર્માંધતાથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું. સાથે જ, સહિષ્ણુતા અને પ્રેમ દ્વારા 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાગ્યા રહો' તે સૂત્ર આપ્યું હતું. આ પ્રસંગે મનુભાઈ પટેલ, દિનેશભાઈ પ્રજાપતિ, વાલજીભાઈ ચૌધરી, કુલદીપભાઈ લોહાણા સહિત અનેક મહાનુભાવો પુસ્તકાલયમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પરિચય નગીનભાઈ અને જ્યોતિન્દ્રભાઈએ આપ્યો હતો, જ્યારે આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:11 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી:પતંગ, ચીકી, ખજૂર અને ભોજન સાથે આનંદમય પર્વ મનાવાયું

રાહી ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) પર્વની લર્નિંગ ક્લિનિક સ્કૂલ, હીમાવન, પાલડી ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને પતંગ, ફીરકી, ચશ્મા, પીપુડી, ખજૂર અને ચીકી જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે બાળકોને ઉંધિયું, જલેબી, પૂરી, દાળ અને ભાત સહિતનું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો અને તેમને તહેવારનો આનંદ આપવાનો હતો. આ પતંગોત્સવ કાર્યક્રમના સહયોગી તરીકે અશોક દલાલ અને સ્નેહા હેતલ શાહ પરિવારે વિશેષ યોગદાન આપ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી શ્રી જયેશ પરીખ, નિહારિકા પરીખ, અશોક દલાલ, જ્યોત્સ્ના દલાલ, અલ્પા શાહ અને સ્નેહા શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની સુંદર વ્યવસ્થા બદલ મનોદિવ્યાંગ સ્કૂલના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:07 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિએ બાળકોને બોર-ચીકીનું વિતરણ:ગામડાની શાળાના બાળકોમાં તહેવારની ખુશી વહેંચાઈ

મકરસંક્રાંતિના પવિત્ર તહેવારે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિરમગામ તાલુકાના ગામડાની શાળાના બાળકોને બોર, ચીકી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોમાં તહેવારની ખુશી વહેંચવાનો હતો. વિતરણ કરાયેલી વસ્તુઓમાં બોર, ચીકી અને મમરાના લાડુનો સમાવેશ થાય છે. આ પરંપરાગત ખાદ્ય પદાર્થો પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. ચીકી અને મમરાના લાડુમાં રહેલો ગોળ શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે લાભદાયી મનાય છે. બોર બાળકોમાં ગ્રામ્ય સ્વાદ અને પ્રકૃતિ સાથેનું જોડાણ મજબૂત કરે છે. આ વિતરણથી બાળકોને સ્વચ્છ, પૌષ્ટિક અને પરંપરાગત આહાર મળ્યો, જે તેમના આરોગ્ય અને વિકાસ માટે ઉપયોગી છે. આ કાર્યક્રમ બાળકોના મનમાં સમાનતા અને સમાવેશની ભાવના જગાડે છે. જ્યારે તમામ બાળકોને એકસરખી રીતે તહેવારની ભેટ મળે છે, ત્યારે તેઓ પોતાને સમાજનો મહત્વનો ભાગ અનુભવે છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલું આ વિતરણ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવા કાર્યો સમાજમાં સંવેદનશીલતા અને સહકારના મૂલ્યોને મજબૂત બનાવે છે. તે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરે છે અને આવા સેવાકાર્યો પ્રેરણાદાયક બની રહે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:04 pm

રાની મુખર્જી-ઇમરાન હાશ્મીને જોઈ ચાહકો પાગલ બન્યા:સીરિયલ કિસર પોળ પર આફરિન, અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં 'તસ્કરી'ની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો

અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં બીજા દિવસે બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને ઇમરાન હાશ્મીને જોઈ ચાહકો પાગલ બન્યા. જ્યારે સીરિયલ કિસર ઈમરાન હાશ્મી કાઇટ ફેસ્ટિવલની પોળ થીમ પર આફરિન થયાં. 'તસ્કરી:ધ સ્મલગર્સ વેબ'સિરીઝની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો જોવા મળ્યો. જ્યારે ગ્લેમરસ રાની મુખર્જીએ પતંગ ચગાવીનો મોજ માણી હતી. ચાહકોએ તેમની આ અદા પર ઓવારી જઈને ભારે ચિચિયારીઓ સાથે સ્વાગત કર્યું હતું. કાઇટ ફેસ્ટીવલમાં બીજા દિવસે બોલિવુડ સ્ટારની એન્ટ્રીઅમદાવાદ રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આજે કાઇટ ફેસ્ટીવલના બીજા દિવસે બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશમી આવ્યા હતા. અને અહીં મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સાથે પતંગ ઉડાવી હતી. એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી રિવરફ્રન્ટમાંઆજે અમદાવાદમાં બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ દરમિયાન રાની મુખર્જી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમની સાથે સાથે ફર્યા હતા. રાનીની ઝલક જોવા શહેરીજનો ઉમટ્યારાની મુખર્જીની એક ઝલક જોવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. બોલીવુડ એક્ટ્રેસે અહીં પતંગબાજો પાસેથી પતંગ લઈને ઉડાવી હતી અને ચીઅર કર્યું હતું. આ ઉપરાંત બોલીવુડ એક્ટ્રેસે હેરિટેજ પોળની પણ મુલાકાત લીધી હતી અને નિહાળી હતી. ઇમરાન હાશ્મીએ પોળની થીમના વખાણ કર્યાજ્યારે ઇમરાન હાશ્મીએ અમદાવાદ હેરિટેજ સિટીને લઈને વખાણ કર્યા હતા. જે પ્રમાણે અહીંયા અમદાવાદ હેરિટેજ સિટીની પોળની થીમ તૈયાર કરવામાં આવી છે તેને લઈને પણ ઇમરાન હાશ્મીએ વખાણ કર્યા હતા અને એમની આવતીકાલે રિલીઝ થતી સિરીઝ 'તસ્કરી:ધ સ્મલગર્સ વેબ' વિશે પણ તેઓએ વાત કરી હતી. સાંજે ગુજરાતી લોક કલાકારોનું પર્ફોર્મજોકે, આજે સાંજે અહીં ગુજરાતી લોક કલાકારો પર્ફોર્મ કરવામાં આવશે. આ પર્ફોમન્સ જોવા માટે પર પર્સન 50 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. આ પતંગોત્સવ 17 જાન્યુઆરી સુધી ચાલશે. એવો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:04 pm

હેત પ્રજાપતિએ રાજ્ય કક્ષાની જ્વેલિન થ્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું:અંડર-૧૧ સ્પર્ધામાં એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ શાળાનું ગૌરવ વધાર્યું

ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની અંડર-11 એથ્લેટિક મીટમાં એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી હેત કેયુરભાઈ પ્રજાપતિએ જ્વેલિન થ્રો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. હેત હંસપુરા સ્થિત એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૫ માં અભ્યાસ કરે છે.તેણે આ સિદ્ધિ મેળવીને શાળા અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 6:01 pm

ગાબાણી કોલેજમાં આનંદ મેળાનું આયોજન:વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા જગાડવાનો મુખ્ય હેતુ

જે ડી ગાબાણી કોમર્સ કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ, વરાછા ખાતે 10 જાન્યુઆરી, 2026ના રોજ 'આનંદ મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની ભાવના જગાડવાનો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલ 8 ખાણીપીણીના અને 1 ગેમ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં કોકો, મન્ચુરિયન, પાણીપુરી, પેસ્ટ્રી, ખમણ ચટપટી, દાબેલી, પોટેટો ટ્વિસ્ટર અને બાસ્કેટ ચાટ જેવી વિવિધ વાનગીઓ ઉપલબ્ધ હતી. સંગીતમય વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ દ્વારા આ વાનગીઓ અને રમતોનો આનંદ માણવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અરવિંદભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો-ઓર્ડિનેટર ડૉ. પર્વતભાઈ પટેલ અને ડૉ. ગોવિંદભાઈ ધીનૈયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:59 pm

પાટણ BAPS મંદિરમાં શાકોત્સવની ઉજવણી:ઉત્તમપ્રિય સ્વામીએ સત્સંગ સભાનો લાભ આપ્યો

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામી દ્વારા સત્સંગ સભાનો લાભ આપવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહોત્સવોનું વિશેષ મહત્વ છે. ધનુર માસ દરમિયાન શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા લોયા ગામ ખાતે ભક્તોને પોતાના હાથે રીંગણનું શાક અને રોટલો બનાવી પ્રસાદ આપ્યો હતો. આ ઉત્સવનો મુખ્ય હેતુ ભક્તોને આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રેરણા આપવાનો, હરિભક્તોને એકબીજાને મળતા રહેવાનો અને દિવ્ય તેમજ ભક્તિમય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ભગવાન સ્વામિનારાયણની આ ઉત્સવ પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવંત છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી ધનુર માસ નિમિત્તે સંપ્રદાયના દરેક મંદિરમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સનાતન ધર્મની ધજા દેશ-વિદેશમાં ફરકાવનાર પ્રમુખસ્વામી મહારાજે 1200થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે. દેશ-વિદેશમાં પણ આ ધનુર માસમાં શાકોત્સવની ઉજવણી થાય છે. આજે પાટણના હરિભક્તોએ પણ બીએપીએસ મંદિર ખાતે શાકોત્સવનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:58 pm

કાંકરિયા શાળામાં પક્ષી સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:SAJAG NGO દ્વારા ઘાયલ પક્ષીઓની મફત સારવારની માહિતી અપાઈ

કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં પર્યાવરણ અને પક્ષી સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે 'SAVE BIRDS – ઘાયલ પક્ષીઓની મફત સારવાર' વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ SAJAG NGOના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમમાં SAJAG NGOના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને ઘાયલ કે બીમાર પક્ષીઓને ઓળખવા, તેમને સુરક્ષિત રીતે બચાવવા, પ્રાથમિક સારવાર આપવી અને મફત સારવાર માટે સંપર્ક કરવા અંગે વિગતવાર માહિતી આપી. ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના પાત્ર મૂકવાના મહત્વ અને પતંગોત્સવ દરમિયાન પક્ષીઓને થતી ઇજાઓ વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો અને પક્ષી સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે અને શિક્ષકોએ SAJAG NGOના આ કાર્યને બિરદાવ્યું. તેમણે જણાવ્યું કે આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં માનવતા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ, કરુણા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:57 pm

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી:જૈન દેરાસર પાસે દિવાલ નીચે યુવક દબાતા ફાયબ્રિગેડે અડધો કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે એક યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણી છતાં પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અડધો કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવકને બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વડોદરાના આજવા રોડ પર આવેલ મહાવીર હોલની પાછળ આવેલ જૈન દેરાસર પાસે કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. આ સમયે અચાનક જ દિવાલ ધરાશાયી થઈ હતી. જેથી સાઇટ પર કામ કરી રહેલા 35 વર્ષીય યુવક સંજયભાઈ દીવાલ પડતાની સાથે જ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ ની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પાણીગેટ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.ફાયર વિભાગની ટીમે અંદાજે અડધા કલાકના પ્રયાસો બાદ કાટમાળ હટાવીને સંજયભાઈને બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ તેમને તાત્કાલિક 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સંજયભાઈને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમની સ્થિતિ હાલ સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ વધુ તપાસ અને સારવાર ચાલુ છે. આ ઘટના બાદ સ્થળ પર પોલીસ પણ પહોંચી હતી પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર હરીલાલ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળતાની સાથે જ અમે ટીમ સાથે દોડી ગયા હતા. અને દિવાલની નીચેથી યુવકને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:56 pm

વલભી વિદ્યાવિહારમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી:વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા અપાઈ

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી વલ્લભી વિદ્યાવિહાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી. સવારે સમૂહ પ્રાર્થના દરમિયાન આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે નિધિબેન ગોહિલ, નિરવભાઈ સોની, હિનાબેન, ઉમંગભાઈ અને મેહુલભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જન્મથી નિર્વાણ સુધીના પ્રેરક પ્રસંગો વિશે વિવિધ ઉદાહરણો દ્વારા માહિતગાર કર્યા હતા. મેહુલભાઈ ઠક્કરે ઉત્તરાયણની ઉજવણી અને કરુણા અભિયાન વિશે પણ સમજ આપી હતી. શાળાના આચાર્ય નિમેશકુમાર જાનીએ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના પ્રથમ મેળાપની વાત કરી હતી. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારત તરફથી સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું, તે ઘટનાનું વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને (નવ સંકલ્પ )લેવા પ્રેરણા આપી હતી. જેમાં (1)બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, (2)હળવો વ્યાયામ કરવો,(3) ધ્યાન કરવું,(4) પોતાના જીવનનો ધ્યેય નક્કી કરવો(5), સંયમિત જીવન જીવવું( 6) પોતાના મન સાથે આત્મનિરીક્ષણ કરવું (7) લાચાર ન બનવું (8)(9) દીન દુઃખીઓની ની સેવા કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમણે આશરે દોઢ કલાક સુધી આ વિષયો પર વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમના અંતે નિધિબેન ગોહિલે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને આ સંકલ્પોનું પાલન કરવા શપથ લેવડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:54 pm

વડોદરાના ખેલાડીઓએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ૫ મેડલ જીત્યા:મુંબઈમાં આયોજિત સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

મુંબઈ ખાતે જાપાન કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં સીનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ ૬ મેડલ જીત્યા હતા, જેમાં ચાર ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વડોદરાના કરાટે ઇન્સ્ટ્રક્ટર સેન્સાઇ વિશાલ નિઝામાએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના વિદ્યાર્થીઓમાંથી શાલીન શુક્લાએ એક સિલ્વર મેડલ, સુહાન ઝાલાએ એક ગોલ્ડ મેડલ અને કનુશ્રી ચૌધરીએ એક ગોલ્ડ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં આસામ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોના પ્રતિસ્પર્ધીઓનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:54 pm

હારીજ કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી:સ્વામી વિવેકાનંદના સંદેશ પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

હારીજ ખાતેની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે ઉદ્દીશા પ્રકલ્પ અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં સ્વામી વિવેકાનંદના વિચારો, તેમના જીવનદર્શન અને રાષ્ટ્રનિર્માણ માટેના સંદેશને ઉજાગર કરવાનો હતો. યુવાનોને પ્રેરણા આપીને સકારાત્મક દિશામાં વાળવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમના વક્તા તરીકે રામશીભાઈ પટેલે ઉપસ્થિત રહીને વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય યુવા દિવસ 2026ની થીમ સ્વને પ્રજ્વલિત કરો, વિશ્વને પ્રભાવિત કરો પર ભાર મૂક્યો હતો. પટેલે સ્વામી વિવેકાનંદના જીવન, યુવા શક્તિ, આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્રસેવા અંગે પ્રેરણાદાયક વાતો કરી હતી. તેમના વિચારોએ વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને વિચારશક્તિ જગાડી હતી. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓએ ધ્યાનપૂર્વક સાંભળીને પ્રેરણા મેળવી, જે યુવાનોમાં સકારાત્મક ચેતના જગાડવામાં મદદરૂપ થયું. આ કાર્યક્રમનું સંચાલન ઉદ્દીશા પ્રકલ્પના કો-ઓર્ડિનેટર માનસિંહભાઈ એમ. ચૌધરી દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:52 pm

LJK યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું:Knights ટીમે 5 વિકેટથી વિજય મેળવ્યો, દિગ્વિજય 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'

LJK યુનિવર્સિટીના LJ Integrated MBA – 5 Year Program ના વિદ્યાર્થીઓ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત હતી, જેનો મુખ્ય હેતુ તેમને રમતગમતની સાથે મોટા પાયે ઇવેન્ટ આયોજન અને સંચાલનનો વ્યવહારુ અનુભવ પૂરો પાડવાનો હતો. ORVO Clothing ના સૌજન્યથી આ ટુર્નામેન્ટની મેચો 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી 2026 દરમિયાન LJK યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી.ફાઇનલ મેચ Inferno અને Knights ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં Knights ટીમે 5 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. સેમેસ્ટર 6ના વિદ્યાર્થી દિગ્વિજયને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:50 pm

દેત્રોજીપુરામાં તસ્કરોનો તરખાટ:બે ખેડૂતોના ખેતરમાંથી 1.72 લાખની કિંમતના કેબલની ચોરી

મહેસાણા તાલુકાના દેત્રોજીપુરા ગામમાં તસ્કરોએ ખેડૂતોને નિશાન બનાવી લાખો રૂપિયાના કેબલ વાયરની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરોએ બે અલગ-અલગ ખેતરોમાં આવેલી ઓરડીના તાળા તોડી બોરના કિંમતી કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેત્રોજીપુરાના રહેવાસી ભીખાભાઇ સોમાભાઇ પ્રજાપતિ ગત તા. 11 જાન્યુઆરીના રોજ સાંજે પોતાના ખેતરે હાજર હતા.લાઈટ જતી રહેતા તેઓ ઘરે પરત આવ્યા હતા. બીજા દિવસે સવારે છ વાગ્યે ખેતરે જઈને જોતા ઓરડીનું તાળું તૂટેલું જણાયું હતું. તપાસ કરતા ઓરડીમાં સ્ટાટરથી બોર સુધીનો 25 એમ.એમ.નો આશરે 200 ફૂટ લાંબો કેબલ, જેની કિંમત અંદાજે રૂ. 80,000 થાય છે. તે ગાયબ હતો. આ દરમિયાન ગામમાં અન્ય ખેડૂત જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિ સાથે મુલાકાત થતા જાણવા મળ્યું હતું કે. તેમના ખેતરમાં પણ ચોરી થઈ છે. તસ્કરોએ જયંતિભાઈના ખેતરની ઓરડીનું તાળું તોડી ત્યાંથી પણ 230 ફૂટ લાંબો કેબલ ચોરી લીધો હતો, જેની કિંમત રૂ. 92,000 અંકાય છે. આમ, તસ્કરો એક જ રાતમાં બંને ખેતરોમાંથી કુલ 430 ફૂટ લાંબો અને રૂ. 1,72,000ની કિંમતનો કેબલ વાયર ચોરી કરી ગયા હતા. આ અંગે ભીખાભાઇ પ્રજાપતિએ અજાણ્યા ચોર શખસો વિરુદ્ધ લાઘણજ પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:44 pm

શિયાળા બાદ રિપોર્ટ આવશે !:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ઉત્તરાયણને લઈ ઉંધીયુ, જલેબી-ફાફડા અને વિવિધ ચીકી સહિત 10 નમુના લેવાયા, 15 વેપારીને નોટિસ

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા મકરસંક્રાંતિનાં તહેવારને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યચીજોના વેચાણ કરતા એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઊંધિયું, જલેબી અને ફાફડા તેમજ ચીકી સહિત 10 ખાદ્ય સામગ્રીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે તમામ નમુનાઓનો રિપોર્ટ શિયાળા બાદ જ આવશે. ત્યાં સુધી વેપારીઓ ઉપર કોઈપણ કાર્યવાહી થઈ શકશે નહીં. આ ચેકીંગ દરમિયાન ફૂડ વિભાગે તહેવારોમાં વધુ વપરાતી ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાય તે હેતુથી પંડયાઝ રસથાળ, જલારામ રેસ્ટોરેન્ટ અને જય હિંગળાજ રેસ્ટોરેન્ટમાંથી ઊંધિયુંના નમૂના લીધા હતા. આ ઉપરાંત શ્રી અંબિકા ફરસાણ અને વરિયા સ્વીટ માર્ટમાંથી જલેબી-ફાફડા તેમજ ઠક્કર ગૃહ ઉદ્યોગ અને રાજશક્તિ ફરસાણમાંથી વિવિધ પ્રકારની ચીકીના નમૂના મેળવી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. જોકે હંમેશની જેમ તેનો રિપોર્ટ 2-3 મહિના બાદ એટલે કે ઉનાળામાં આવે તેવી શક્યતા છે. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા શહેરના ITI હોકર્સ ઝોનથી આજીડેમ ચોકડી સુધીના વિસ્તારમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 17 ધંધાર્થીઓની ચકાસણી કરી હતી. દરમિયાન લાયસન્સ બાબતે ગેરરીતિ જણાતા 15 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી. લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંગે મનપાની સ્પષ્ટતા, જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત, ટૂંક સમયમાં કામ શરૂ થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યમાં વધારો કરવાના હેતુથી લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રોજેક્ટ જે જમીન પર સાકાર થવાનો છે તે સંપૂર્ણપણે દબાણમુક્ત છે અને ત્યાં કોઈપણ ગેરકાયદેસર દબાણ કે અવરોધ અસ્તિત્વમાં નથી. આ કામગીરી મનપાની અધિકૃત માલિકીની જમીન પર જ હાથ ધરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત લેકફ્રન્ટના વિકાસ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને એજન્સીની નિમણૂક પણ થઈ ચૂકી છે, જેથી ટૂંક સમયમાં સ્થળ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે. લાલપરી પ્રોજેક્ટ કુલ 18265 ચો.મી.ના એરિયામાં પથરાયેલો છે, જેમાં લેકફ્રન્ટની બાજુમાં અંદાજે 1.0 કિમીની લંબાઈમાં કામગીરી થશે. આ બ્યુટીફિકેશનમાં 10950 ચો.મી.નું ગાર્ડન વર્ક, 1 કિમીની ગેબિયન વોલ, 850 રનીંગ મીટરની ફૂટપાથ અને 1650 રનીંગ મીટરનો વોકિંગ ટ્રેક તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રોડ સાઈડ 860 રનીંગ મીટરની લંબાઈમાં ડેવલપમેન્ટ અને ગજેબો જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.પ્રદ્યુમન પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શહેરના નાગરિકો માટે અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, ગ્રીનબેલ્ટ અને બેસવા માટેની આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. લૅન્ડસ્કેપિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી આ પ્રોજેકટ સજ્જ બનશે. આવતીકાલે ઘવાયેલા પક્ષીઓના બચાવ માટે જીવદયા કેમ્પનું આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગૃપ અને કરુણા ફાઉન્ડેશનના સહયોગથી મકરસંક્રાતિના દિવસે પતંગ-દોરાથી ઘાયલ પક્ષીઓને શાતા પમાડવાના ભાવ સાથે તેમજ ઘવાયેલા પક્ષીઓ મોતને ન ભેટે તેવા ભાવ સાથે ‘અર્હમ જીવદયા સહાય’ અંતર્ગત મોદી સ્કૂલ, 150 ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ ચોકીની બાજુમાં તેમજ ટાટાના શો રૂમ પાસે, ઉમિયા ચોક તથા ક્રિસ્ટલ મોલ સામે, કાલાવડ રોડ પર ’જીવદયા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વેટરનીટી ડોક્ટરોની ટીમ તથા જીવદયા પ્રેમીઓના સહયોગથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે. ઘાયલ પક્ષીઓને જીવદયા કેમ્પ સુધી પહોંચાડનાર દરેક જીવદયા પ્રેમીને પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજકોટ શહેરમાં કોઇ પણ જગ્યાએ ઘવાયેલ પક્ષીઓ જણાય તો મો.નં.91364 42491, 98984 99954 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. કેમ્પ કાલે તા.14 બુધવાર સવારે 8 થી રાત્રે 8 સુધી કાર્યરત રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:44 pm

AMCના 11 પ્લોટના વેચાણથી 916 કરોડની આવક:ગોતા, સોલા અને એસજી હાઈવેના પ્લોટો 104 કરોડના વધુ ભાવે વેચાયા, સિંધુભવન રોડ પરનો પ્લોટ 25 કરોડથી વધારે ભાવે વેચાયો

શહેરના સિંધુભવન રોડ, સોલા, ગોતા, વંદે માતરમ રોડ અને મકરબા વિસ્તારમાં આવેલા પ્લોટ વેચાતા AMCને રૂ. 916 કરોડની આવક થશે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 811.87 કરોડની અપસેટ વેલ્યુ મકુવામાં આવી હતી તેના કરતા રૂપિયા 104.45 કરોડ વધુ ભાવ મળ્યા છે. સૌથી વધારે સિંધુભવન રોડ ઉપર આવેલા પ્લોટની મૂળ કિંમત કરતા 24.18 કરોડ રૂપિયા વધારે ભાવમાં પ્લોટનું વેચાણ થયું છે. કુલ વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના કુલ 15 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ માટે મુકવામાં આવ્યા હતા. જેમાં 11 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ દ્વારા AMCની વેબસાઇટ www.ahmedabadcity.gov.in તથા GNFC Ltd.ના વિભાગ Code Solutionsની વેબસાઇટ https://e-auction.nprocure.com પર 6 ડિસેમ્બર 2025નાં રોજ સેલ ફોર રેસિડેન્શિયલ અને સેલ ફોર કોમર્શિયલ હેતુવાળા 15 પ્લોટોને ઇ-ઓક્શન દ્વારા વેચાણથી નિકાલ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું. ત્યાર બાદ Code Solutionsની વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી હરાજીમાં ભાગ લેવા માટે ટેન્ડર ફોર્મ અને ઇ.એમ.ડીની રકમ જમા કરાવવા માટે 6 ડિસેમ્બર 2025થી 5 જાન્યુઆરી 2026 સુધીનો સમયગાળો નિયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 8 જાન્યુઆરી 2026થી 12 જાન્યુઆરી 2026 સુધી ઇ-ઓક્શન રાખવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં દ્વારા જાહેર હરાજીથી વેચાણ માટે મૂકવામાં આવેલા 15 પ્લોટોમાંથી 11 પ્લોટો માટે ઓફરો આવી હતી. પ્રાપ્ત થયેલી 4 ઓફરો મુજબ, તમામ 11 પ્લોટોના ઈ-ઓક્શનથી કુલ અપેક્ષિત આવક રૂ. 916.32 કરોડ થવાની છે. જ્યારે કુલ અપસેટ પ્રાઈસ રૂ.811.87 કરોડની સામે અંદાજે રૂ. 104.45 કરોડ જેટલી વધારાની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:41 pm

પાટણમાં નિવૃત પ્રોઢ સાથે 67 લાખની સાયબર ઠગાઈ:ડિજિટલ એરેસ્ટ કરી, નકલી અધિકારીઓએ મની લોન્ડરિંગના નામે લૂંટ્યા

પાટણમાં આરોગ્ય વિભાગમાંથી નિવૃત થયેલા 65 વર્ષીય હરેશ વાડીલાલ પટેલ સાથે 67 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. ગઠિયાઓએ તેમને 'ડિજિટલ એરેસ્ટ' કરી, આધાર કાર્ડના દુરુપયોગ અને મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીનો ડર બતાવી છેતરપિંડી કરી હતી. આ મામલે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત મુજબ, 2 જાન્યુઆરીના રોજ હરેશભાઈને રવિ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાને ટેલિકોમ વિભાગમાંથી હોવાનું જણાવ્યું હતું. તેણે હરેશભાઈના આધાર કાર્ડ પરથી લેવાયેલા સિમ કાર્ડ દ્વારા અશ્લીલ વીડિયો મોકલવામાં આવતા હોવાનો દાવો કર્યો. ત્યારબાદ, એક ગઠિયાએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના IPS જય પ્રભાકરણ ચુગલ તરીકે ઓળખ આપી વોટ્સએપ વીડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો. ઠગબાજોએ પીડિતને ડરાવ્યા કે મની લોન્ડરિંગના કૌભાંડમાં પકડાયેલા નરેશ ગોહિલના ઘરેથી તેમના નામનું કેનેરા બેંકનું ATM કાર્ડ મળ્યું છે, જેમાં 2 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. વિશ્વાસમાં લેવા માટે વીડિયો કોલમાં નકલી કોર્ટ અને જજ પણ બતાવવામાં આવ્યા હતા. આ ડરને કારણે હરેશભાઈને 7 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'માં રાખી, ફાઈનાન્સિયલ બેકગ્રાઉન્ડ ચેક કરવાના બહાને નાણાં સરકારી ખાતામાં જમા કરાવવા દબાણ કરાયું. ગભરાઈને હરેશભાઈએ 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન પોતાની એક્સિસ બેંક, મહેસાણા અર્બન બેંક અને અન્ય બચત ખાતામાંથી કુલ 67 લાખ રૂપિયા ગઠિયાઓએ આપેલા એક્સિસ અને ICICI બેંકના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન, ગઠિયાઓ દર 2 કલાકે વીડિયો કોલ દ્વારા હાજરી પુરાવવા અને બેંકમાં જતી વખતે પત્નીનો ફોન ચાલુ રાખવા જેવી કડક સૂચનાઓ આપતા હતા. જોકે, 11 જાન્યુઆરીના રોજ ફેસબુક પર સમાન ઠગાઈનો વીડિયો જોતા હરેશભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો. તેમણે તરત જ સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરી અને પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં રવિ શર્મા, IPS જય પ્રભાકરણ ચુગલ અને અન્ય બેંક ખાતાધારકો વિરુદ્ધ BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:37 pm

બેચરાજીના મોલમાં તસ્કરો ત્રાટક્યા, પતરા હટાવી બે શખ્સો અંદર ઘૂસ્યા:4.57 લાખની રોકડ અને સીસીટીવી કેમેરાનું DVR લઈ ને ફરાર

યાત્રાધામ બેચરાજીમાં આવેલ રાધે મેટ્રો મોલને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે. મોલના પતરા હટાવી અંદર પ્રવેશેલા બે શખ્સો તિજોરી અને ગલ્લામાંથી કુલ રૂ. 4.57 લાખની રોકડ રકમ તેમજ પુરાવાનો નાશ કરવાના ઈરાદે સીસીટીવી કેમેરાની ડીવીઆર સિસ્ટમ પણ ચોરી ગયા છે. આ મામલે મોલના માલિકે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 4.57 લાખની રોકડ લઈને તસ્કર ફરારબેચરાજીના રાધે મેટ્રો મોલના ભાગીદાર ચેતનભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 12 જાન્યુઆરીના રોજ બપોરે તેમના ભાગીદાર મનીષકુમારે રૂ. 2.80 લાખ આપ્યા હતાં. રાત્રે મોલ બંધ કરતી વખતે દિવસની આવકના 1.47 લાખ અને ગલ્લાના 30,000 મળી કુલ રૂ.4,27,000 તેમણે મોલની તિજોરીમાં સુરક્ષિત મૂક્યા હતા અને તેની ચાવી ડ્રોવરમાં રાખી મોલ બંધ કરી ઘરે ગયા હતા. પતરા હટાવી બે શખ્સો અંદર ઘૂસ્યાબીજા દિવસે સવારે જ્યારે ચેતનભાઈ અને મોલનો સ્ટાફ મોલ ખોલીને અંદર ગયા ત્યારે તિજોરી ખુલ્લી હાલતમાં જોવા મળી હતી અને અંદર મુકેલી રોકડ રકમ ગાયબ હતી. આથી તેમણે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, રાત્રિના આશરે એક વાગ્યાના સુમારે બે અજાણ્યા ઇસમો મોલની સીડી વાટે ઉપર ચડી, પતરા હટાવી અંદર પ્રવેશ્યા હતા. સીસીટીવી કેમેરાનું DVR લઈ ને ફરારતસ્કરોએ ડ્રોવરમાંથી ચાવી શોધી કાઢી તિજોરી ખોલી હતી અને તિજોરી તેમજ ગલ્લામાંથી મળી અંદાજે રૂ. 4,57,000ની મત્તાની ચોરી કરી હતી. પકડાઈ જવાની બીકે તસ્કરો રૂ. 15,000ની કિંમતનું સીસીટીવી કેમેરાનું DVR પણ સાથે લઈ ગયા હતા. હાલમાં બેચરાજી પોલીસે આ મામલે ગુનો નોંધી અજાણ્યા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:35 pm

ડ્રગ્સ માફિયાઓની માહિતી આપવા માટે ANTFનો વોટ્સએપ નંબર જાહેર:એક મેસેજથી રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવા પોલીસની પહેલ

ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. ANTFના આ વોટ્સએપ નંબર પર ડ્રગ્સ માફિયાઓની વિગત આપી શકશોહવે રાજ્યનો કોઈ પણ નાગરિક ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે સીધી માહિતી આપવા માટે ANTF ગુજરાતના વોટ્સએપ નંબર 99040 01908 પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 પર પણ ફોન કરી માહિતી આપી શકે છે. બાતમી આપનારનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રહેશેગુજરાત પોલીસે સ્પષ્ટ ખાતરી આપી છે કે ડ્રગ્સ અંગે બાતમી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, સામાન્ય નાગરિકની એક નાનકડી માહિતી પણ ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહીનો માર્ગ ખોલી શકે છે અને રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એક મેસેજથી રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવા પોલીસની પહેલડ્રગ્સ ટ્રાફિકિંગ પર લગામ કસવા ઉપરાંત ANTF દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમજ નશાની લતમાંથી બહાર લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં જોડાવા માટે ANTF ગુજરાતે સોશિયલ મીડિયા પર પણ સક્રિય હાજરી રાખી છે. ગુજરાત પોલીસનું કહેવું છે કે, ડ્રગ્સ વિરુદ્ધની આ લડાઈમાં જનસહયોગ સૌથી મોટું શસ્ત્ર છે અને દરેક નાગરિકની સતર્કતા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:27 pm

મહિલા સાથે અનૈતિક સંબંધમાં સુરતના બિલ્ડરની હત્યાનો ખુલાસો:કતારગામમાં બિલ્ડરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, વકીલ સહિત 3 આરોપીની ધરપકડ; ત્રણ હજુ ફરાર

સુરત અને ભરૂચમાં પ્રોજેક્ટ ધરાવતા સરથાણાના યુવાન બિલ્ડરની 12 જાન્યુઆરીના રોજ કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે જે.કે.પી નગર ખાતે ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાની ઘટનામાં ગણતરીના કલાકોમાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં મહિલા સાથેના અનૈતિક સંબંધમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા વકીલ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો?મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલીના સાવરકુંડલાના જીરા ગામના વતની અને સુરતના સરથાણા યોગીચોક સર્જન હાઈટ્સમાં રહેતા 46 વર્ષીય બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીએ સુરતના સરથાણા અને વરાછામાં ચારેક પ્રોજેક્ટ કર્યા છે અને હાલ ભરૂચ ખાતે તેમનો બાંધકામનો પ્રોજેક્ટ ચાલુ હતો. વિપુલભાઈ 12 જાન્યુઆીના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ કામ અર્થે કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે જે.કે.પી નગરમાં ગયા હતા, ત્યારે ત્રણથી ચાર અજાણ્યા શખસોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તે સમયે બે વ્યક્તિએ તેમને ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને તમામ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિપુલ માંડાણીને ડોક્ટરોએ મૃત જાહેર કર્યાજાહેરમાં હુમલો થતા ગંભીર ઈજાગ્રસ્ત વિપુલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા કતારગામ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ તરફ વિપુલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડતા ત્યાં તેમના પરિવાર અને સંબંધીઓએ જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. બાદમાં પોલીસે તેમને સમજાવતા મામલો થાળે પડયો હતો. મહિલા સાથે અનૈતિક સંબંધમાં બિલ્ડરની હત્યાનો ખુલાસોકતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને પ્રફુલ સોલંકીને ઝડપી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મહિલા સાથેના અનૈતિક સંબંધના કારણે બિલ્ડર વિપુલની હત્યા કરવામાં આવી છે. વિપુલ પોતાની બાઈક લઈને કતારગામના જે કેપી નગર ખાતે આવ્યો હતો. આરોપીઓ તમામ જેકેપી નગર ખાતે જ રહે છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રફુલ સોલંકી વકીલ છે. જ્યારે આ હત્યામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ અજય સોલંકી પ્રવીણ સોલંકી અને કુલદીપ પટેલ હજુ ફરાર છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. સુરતમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા બાદ પરિવારે ફાંસીની સજાની માંગ કરીઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગેની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારજનો દ્વારા હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. આ સાથે જ હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરી હતી. પરંતુ પોલીસે સમજાવતા મામલો થાળે પડયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:19 pm

કોંગ્રેસનું 20 ફેબ્રુઆરી સુધી મનરેગા બચાવો આંદોલન:ગામથી લઈ વિધાનસભા સુધી વિરોધ કરશે, મનરેગાના મૂળ કાયદાને પુનઃ સ્થાપિત કરવા માગ, BJP નેતાઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી મનરેગા યોજનાનું નામ બદલી દેવામાં આવ્યું છે. મનરેગા યોજનાનું નામ બદલવામાં આવતા દિલ્હીથી લઈને ગામડાઓ સુધી કોંગ્રેસ વિરોધ કરવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ રાજ્યભરમાં ગામથી લઈને ગાંધીનગર સુધી મનરેગા યોજના બચાવો આંદોલન ચલાવશે. કોંગ્રેસ 20 ફેબ્રુઆરી સુધી તમામ ગ્રામ પંચાયતમાં વિરોધ પ્રદર્શન યોજશે. માત્ર એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના મૂળ કાયદાને પુનઃ સ્થાપિત કરવા નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. તેમજ આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ મનરેગા યોજનામાં કરેલા ભ્રષ્ટાચાર પુરાવા સાથે ખુલ્લા પાડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લોકો સાથે સંવાદ કરી વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકીભાજપ સરકારે રોજગારી આપવાના બદલે રોજગારી છીનવી લીધી હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. મનરેગા યોજનાના કારણે કોરોના સમયમાં 72 લાખ પરિવારને રોજગારી મળી હતી, જેથી 26 ટકા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. જેથી મનરેગાના મૂળ કાયદાને પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. તેમજ 20 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ મનરેગા યોજના બચાવો આંદોલન ગામડાઓમાં ચલાવશે. ગામડાઓમાં લોકોની રોજગારી બચાવવામાં કોંગ્રેસ તમામ ગ્રામ પંચાયતમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર પત્ર આપવાના કાર્યક્રમ યોજવાની છે. લોકો સાથે સંવાદ કરીને વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. UPA સરકારમાં 2005માં સામાન્ય લોકોને રોજગારીનો અધિકાર આપ્યોઃ ચાવડાગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની જે નીતિ રહી છે કે દરેક હાથને કામ અને એને એના કામના પ્રમાણમાં વેતન મળે અને રોજગાર માટે કોઈની સામે હાથ ફેલાવો ના પડે એનો અધિકાર મળે એટલા માટે UPA સરકારમાં 2005માં સામાન્ય લોકોને રોજગારીનો અધિકાર આપ્યો હતો. રોજગાર માટે કોઈ યોજના નહીં પણ રોજગારનો અધિકાર આ દેશના લોકોને કોંગ્રેસની સરકારે આપ્યો. મનરેગા યોજના હેઠળ જ્યારે પણ રોજગારીની જરૂરિયાત હોય તો તેને અરજી કરવી પડે અને જો તંત્ર રોજગારી ન આપી શકે તો તેને ભથ્થું આપવું પડે તેવી યોજના લાવવામાં આવી છે. ‘વિકાસના કયા કામો કરવા તે નક્કી કરવાનો પંચાયતને અધિકાર’ વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિકાસના કામ કયા કરવા દરેક ગામને શું જરૂરિયાત છે એ નક્કી કરવાનો અધિકાર પણ ત્યાંની ગ્રામસભા ગ્રામ પંચાયતોને આપ્યો. એટલે ગામના લોકો નક્કી કરે કે અમારા ગામમાં મનરેગામાં કયા પ્રકારના વિકાસના કામો કરવા છે, કયા પ્રકારની માળખાગત સુવિધા ઉભી કરવી છે તે અધિકાર કોંગ્રેસે ગ્રામ પંચાયતને આપ્યો હતો. જે રેશિયો નક્કી કર્યો એ પણ 60 ટકા લેબરને 40 ટકા મટિરિયલનો રેશિયો નક્કી કર્યો, એટલે વધારે ફોકસ રોજગાર પર આ આખા કાયદામાં આપવામાં આવ્યું. રોજગાર આપવાનો સૌથી મોટો કોઈ કાર્યક્રમ હોય તો મનરેગાનો કાર્યક્રમ કાયદો આખા વિશ્વએ સ્વીકાર્યું હતું. જેમાં 90 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને 10 ટકા રાજ્ય સરકારનો હિસ્સો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ સિઝન કોઈ મહિનો જોયા વગર જ્યારે પણ માંગો ત્યારે રોજગાર આપવો પડે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. ‘ભાજપના શાસનમાં રોજગારી છીનવી લેવાઈ’કોરોના સમય દરમિયાન 72 લાખ પરિવારને રોજગારી અપાઈ હોવાનો દાવો કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના સમયમાં મનરેગા યોજના લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ હતી. કોરોના સમયમાં દેશમાં 72 લાખ પરિવારને 100 દિવસની રોજગારી આ મનરેગા યોજના હેઠળ આપવામાં આવી હતી, જેથી તે લોકોએ સારી રીતે જીવન જીવી શક્યા હતા. 14 ટકા પરિવારમાં આવક વધી અને 26 ટકા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હતા. આ ઐતિહાસિક કાયદા હેઠળ આપવામાં આવ્યો, જેનો લાભ ખેત મજૂરો અને મહિલાઓએ લીધો હતો. બીજી બાજુ ભાજપ સરકારનું શાસન આવ્યું ભાષણ કરવામાં આવ્યા કે, રોજગારી આપીશું પરંતુ આપવાના બદલે રોજગારી છીનવી લેવામાં આવી હતી. ‘ભાજપને ગાંધીજીના નામથી પહેલેથી એલર્જી’ભાજપ સરકાર રોજગારીનો અધિકાર છીનાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ખૂબ ગંભીર પરિસ્થિતિ થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે, મહાત્મા ગાંધીનું ગુજરાત રાષ્ટ્રપિતા તરીકે આપણે સૌ ગૌરવ લઈ આખું વિશ્વ એમના વિચારો સત્ય અહિંસાના માર્ગે ચાલવા માટેનો સંકલ્પ કરે છે. જ્યારે ગાંધીજીનું નામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કાયદામાંથી હટાવ્યું, નામ બદલી નાખ્યું હતું. મહાત્મા ગાંધીજીનું નામ હટાવીને ગાંધીજીના નામની તો એમને એલર્જી પહેલેથી છે. એમને વિચારો જ હતા કે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય ગામડાના લોકો મજબૂત થાય ગામડા તૂટતા એટકે ગામડા સમૃદ્ધ થાય એ વિચારોને ખતમ કરવાની શરૂઆત ભાજપે કરી છે. ‘રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા વગર બજેટ રેશિયો નક્કી કરાયો’પહેલા કામોની પસંદગી કરવાની એના કયા કામ નક્કી કરવાની જે સત્તા હતી એ ગ્રામસભા અને પંચાયતની હતી એ ગ્રામસભા અને પંચાયતોનો અધિકાર પણ છીનવી અને હવે સેન્ટ્રલાઈઝ કામો કયા કરવા એ નક્કી કરવાનું આ ફેરફારમાં સૂચવવામાં આવ્યું છે. 90 ટકા, 10 ટકાનો રેશિયો હતો એટલે કે બજેટમાં 90 ટકા રકમ કેન્દ્ર સરકારની 10 ટકા રકમ રાજ્ય સરકારની એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત 60 ટકા આપશે અને 40 ટકાનો હિસ્સો રાજ્ય સરકારે ભોગવવું પડશે. કોઈપણ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા સિવાય એની સંમતિ વગર આ 60- 40 ટકાનો બજેટનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. એનાથી પણ અનેક રાજ્ય સરકારો આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નહિ રહેવાને કારણે જો 40 ટકા બજેટ નહીં ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારીનો અધિકાર છીનવાઈ જવાનો છે. પહેલા કોંગ્રેસને મનરેગાના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હતી. ‘100 દિવસની રોજગારી આપવામાં પણ સરકાર નિષ્ફળ’જે રોજગાર આપવામાં આવી તેની એવરેજ કાઢવામાં આવે તો ફક્ત 42થી 46 દિવસની રોજગારી આટલા વર્ષોમાં એવરેજ મળી છે. 125 દિવસની વાતો કરવાની પણ વાસ્તવિકતા હતી, જેમાં 100 દિવસની રોજગારી આપવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. વિચાર સાથે જોડાયેલા છે, એવા તમામ લોકો આ ગાંધીજીના અપમાનનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામ સભાઓનો અધિકાર છીનવી પંચાયતી રાજ વ્યવસ્થાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે, કોંગ્રેસ પાર્ટી તેનો સખત શબ્દોમાં અમે વિરોધ પણ કરે છે. લોકોના અધિકાર ફરી સ્થાપિત કરવા માગઆગામી આંદોલનને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રોજગારી આપવાનો અધિકાર છે એનું રક્ષણ થવું જોઈએ અને અમે માગ પણ કરીએ છે કે જે મનરેગાનો મૂળ કાયદો હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવે. એમાં જે લોકોના અધિકાર આપ્યા હતા તે ફરી સ્થાપિત કરવામાં આવે તેવી અમારી માગ છે. જેથી મનરેગા યોજના બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 25 ફેબ્રુઆરી સુધી વિરોધ કરવામાં આવશે તેના ઠરાવ કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવશે. મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું છે તેનો વિરોધ કરવામાં આવશે. ‘ભાજપના નેતાઓએ કરેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડીશું’મનરેગા યોજનામાં ભાજપના નેતાઓએ પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એમના મંત્રીના પરિવારના લોકો હોય કે ભાજપના નેતાઓ કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે, મનરેગામાં એ બધી જ હકીકતોનો પણ પુરાવા સાથે આગામી સમયગાળામાં ખુલ્લા પાડીશું. ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડીશું. તેમજ આગામી સમયમાં વિધાનસભા સત્ર પણ યોજવાનું છે તો ત્યારે પણ કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. વિધાનસભાનો ઘેરાવો કરીશું અને લોકોના અધિકારો છીનવવાનો જે આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈપણ રીતે સફળ નહીં થવા દઈએ. ફરીથી મનરેગા તેના મૂળ સ્વરૂપ સાથે પ્રસ્થાપિત થાય તેવી અમારી માગ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:18 pm

સૌરાષ્ટ્ર બનશે દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ:સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન અંતર્ગત 2047 સુધીમાં 60 લાખ નવી રોજગારીની તકો સર્જાશે

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC)માં સૌરાષ્ટ્રના આર્થિક નકશાને બદલી નાખનારા ‘‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન’’ (SaER)ની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સેમિનારમાં વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના 80 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લઈ સૌરાષ્ટ્રની આર્થિક કાયાપલટ અંગે ચર્ચા કરી હતી. GDPમાં 15 ગણો વધારો અને રોકાણનું લક્ષ્ય પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, ગ્રીટ (GRIT) અને PwC દ્વારા તૈયાર કરાયેલા આ પ્લાન મુજબ સૌરાષ્ટ્રનો GDP જે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 3.8 લાખ કરોડ હતો, તેને વર્ષ 2046-47 સુધીમાં 15 ગણો વધારીને રૂ. 57.6 લાખ કરોડ સુધી લઈ જવાનો અંદાજ છે. આ ભવ્ય વિઝનને સાકાર કરવા માટે વર્ષ 2047 સુધીમાં અંદાજે રૂ. 11 લાખ કરોડના મૂડીરોકાણની જરૂરિયાત રહેશે. જેમાંથી 20% ભંડોળ રાજ્ય સરકાર અને બાકીના 80% ખાનગી રોકાણ (PPP) તથા અન્ય સ્ત્રોતો દ્વારા મેળવવામાં આવશે. સાત 'બિગ-ટિકિટ' પ્રોજેક્ટ્સની જાહેરાત સૌરાષ્ટ્રના વિકાસને વેગ આપવા માટે સાત મહત્વના દેશનું સૌથી મોટું બહુ-ક્ષેત્રીય નિકાસ ઉત્પાદન હબ,સૌરાષ્ટ્ર ડિફેન્સ ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર, રાજકોટ ખાતે મેગા ફૂડ પાર્ક અને એગ્રો ક્લસ્ટર, પ્રાદેશિક એરોસિટી અને MICE સેન્ટર, ભારતનો સૌથી મોટો ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઉત્તર ગુજરાતમાં OEM માટે સૌથી મોટો ઓટો પાર્ટ્સ હબ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી માટે નોલેજ ક્લસ્ટર જેવા પ્રોજેક્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે MSME ક્ષેત્ર માટે નવો અભિગમ ગ્રીટના CEO એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના MSME એકમોએ હવે પેઢીગત પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસો બનવું પડશે. વડાપ્રધાનના 'વૈશ્વિક સ્પર્ધાત્મકતા' અને 'આત્મનિર્ભરતા'ના મંત્રોને આત્મસાત કરવા જરૂરી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રી અજય ભાદુએ ભાર મૂક્યો હતો કે સૌરાષ્ટ્ર હવે માત્ર સપ્લાયર તરીકે નહીં, પરંતુ 'સોલ્યુશન પ્રોવાઈડર' તરીકે ઉભરી આવે તે સમયની માંગ છે. તેમણે રૂ. 25,060 કરોડના 'એક્સપોર્ટ પ્રમોશન મિશન' વિશે પણ માહિતી આપી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની તકો આ માસ્ટર પ્લાન હેઠળ 70 થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે, જેમાં ઔદ્યોગિક, શહેરી અને સામાજિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા વર્ષ 2047 સુધીમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રોમાં કુલ 60 લાખ નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ, વેરહાઉસિંગ, ટેસ્ટિંગ સેન્ટર્સ અને ગ્રીન એનર્જી ઝોન જેવી આધુનિક વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવશે. નિકાસ ક્ષમતા અને ટેકનોલોજી નોલેજ સેશન દરમિયાન જ્યોતિ CNCના પી.જી. જાડેજા અને ક્રિષ્ના ડિફેન્સના અંકુર શાહ જેવા ઉદ્યોગ સાહસિકોએ એન્જિનિયરિંગ અને સંરક્ષણ ક્ષેત્રે નિકાસ વધારવાના સૂચનો આપ્યા હતા. સેમિનારમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્રના બંદરોની નિકટતા અને પ્રસ્થાપિત ઔદ્યોગિક ક્લસ્ટરો તેને વૈશ્વિક નિકાસ હબ બનાવવા માટે પૂરતા સક્ષમ છે. આ આયોજન ભારતને 2030 સુધીમાં 2 ટ્રિલિયન યુ.એસ. ડોલરના નિકાસ લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:09 pm

જુની અદાવતમાં જીવલેણ હુમલો:નારોલમાં ચાર શખસે યુવકને દંડાથી ફટકારીને ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કર્યો

નારોલમાં જૂની અદાવતમાં ચાર શખસે યુવકને દંડાથી ફટકારીને ચપ્પુના ઘા મારી લોહિલુહાણ કર્યો હતો. જેમાં શખસને અગાઉ યુવકના મિત્ર સાથે રૂપિયા બાબતે માથાકૂટ થતા વચ્ચે પડીને છોડાવ્યા હતાં, તેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. આ અંગે યુવકે ચારેય શખસ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઝઘડામાં વચ્ચે પડતાં હુમલોનારોલમાં રહેતો દિલીપ યાદવ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. 11 જાન્યુઆરીએ બપોરના સમયે તેના મિત્ર લવયુ દિક્ષીત અને નિખિલ વચ્ચે રૂપિયા બાબતે ઝઘડો થયો હતો, જેથી દિલીપ વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા. બાદમાં સાંજના સમયે દિલીપ હાઇફાઇ ચાર રસ્તા પાસે રિક્ષા પાર્ક કરીને બેઠો હતો. ત્યારે નિખિલ તેના મિત્રો નિમેશ, કાલો અને શેરૂને લઇને આવ્યો હતો. બૂમાબૂમ થતાં આરોપીઓ ફરારબાદમાં જૂની અદાવતને લઇને દિલીપ સાથે ઝઘડો કરીને બિભત્સ ગાળો બોલીને ચપ્પુના ઘા મારીને લોહિલુહાણ કર્યા હતા. આટલું જ નહિ ચારેયે દિલીપને દંડાથી ફટકાર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય શખ્સો નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત દિલીપને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે દિલીપે ચારેય શખસ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:00 pm

રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશનનો પ્રારંભ:વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન: તેજસ ફાઈટર પ્લેન, લકી ડ્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ, 13 જાન્યુઆરી 2026: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે 'વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન' (VGRE)નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 12 થી 15 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ પ્રદર્શન સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ, સંરક્ષણ ક્ષમતા અને સાંસ્કૃતિક વારસાનો ત્રિવેણી સંગમ બની રહ્યું છે. આ એક્ઝિબિશનમાં MSMEs, સ્ટાર્ટઅપ્સ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને કારીગરો એક મંચ પર એકત્રિત થયા છે. આકર્ષક ઇનામો અને લકી ડ્રો પ્રદર્શનની મુલાકાતે આવતા નાગરિકો માટે દરરોજ સાંજે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, 42 ઇંચનું LED ટીવી, રેફ્રિજરેટર, સ્માર્ટફોન અને ગિફ્ટ વાઉચર્સ જેવા કિંમતી ઇનામો જીતવાની તક મળશે. આ સાથે જ દરરોજ સાંજે વિવિધ સ્ટેજ પર કચ્છ અને સૌરાષ્ટ્રના પરંપરાગત લોકનૃત્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જે મુલાકાતીઓને ગુજરાતની સમૃદ્ધ કલા-સંસ્કૃતિનો પરિચય કરાવશે. સંરક્ષણ અને ઉદ્યોગ જગતની ઝલક 26,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ એક્ઝિબિશનમાં 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. અહીં ભારતીય વાયુ સેનાના સ્વદેશી ફાઇટર પ્લેન 'તેજસ' અને 'સુખોઈ-30'ની પ્રતિકૃતિઓ લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. આ ઉપરાંત, લાઈવ કદના જહાજો અને 'સ્વદેશી હાટ' પણ વિશેષ આકર્ષણના કેન્દ્રો છે. ઉદ્યોગ જગતના દિગ્ગજો જેવા કે રિલાયન્સ, અદાણી ગ્રીન, ટાટા કેમિકલ્સ, એસ્સાર ગ્રુપ અને જ્યોતિ CNC દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. છ થીમેટિક ડોમ: ગુજરાતના સર્વાંગી વિકાસનો ચિતાર સમગ્ર પ્રદર્શનને છ અલગ-અલગ થીમેટિક હોલમાં વહેંચવામાં આવ્યું છે, જે ગુજરાતની પ્રગતિના વિવિધ પાસાઓને રજૂ કરે છે: હોલ 1 (ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ): અહીં GIDC, ISRO, ઇન્ડિયા ટુરીઝમ અને જાપાનના JETRO જેવા સંગઠનો દ્વારા વૈશ્વિક વેપારની તકો દર્શાવવામાં આવી છે. હોલ 2 (ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલ્સ): અદાણી ગ્રીન, સુઝલોન અને ટોરેન્ટ પાવર જેવા એકમો દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે થયેલી ક્રાંતિ રજૂ કરાઈ છે. હોલ 3 (MSME અને ક્રાફ્ટ્સ વિલેજ): આ વિભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છના નાના ઉદ્યોગો અને 26 જેટલા હસ્તકલાના કારીગરોના જીવંત પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. હોલ 4 (ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ): ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને શિપિંગ ક્ષેત્રની કંપનીઓ દ્વારા બંદરો અને લોજિસ્ટિક્સની ક્ષમતા દર્શાવાઈ છે. હોલ 5 (એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ): DRDO, HAL અને એરપોર્ટ ઓથોરિટી જેવી સંસ્થાઓ દ્વારા સંરક્ષણ અને એરોનોટિક્સ ક્ષેત્રના પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. હોલ 6 (પબ્લિક સેક્ટર પાવરહાઉસ): આ હોલમાં આરોગ્ય, શિક્ષણ, ગિફ્ટ સિટી અને વન વિભાગ જેવી સરકારી સંસ્થાઓની કામગીરીનું પ્રદર્શન છે. ટેકનોલોજી ડેમો અને લોન્ચિંગ પ્રદર્શનમાં માત્ર જોવાલાયક વસ્તુઓ જ નહીં, પરંતુ દરેક ડોમમાં 'પોપ-અપ સ્ટેજ'ની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નવા ઉત્પાદનોનું લોન્ચિંગ અને ટેકનોલોજીના લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવે છે, જેનાથી મુલાકાતીઓ અને રોકાણકારો નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરી શકે છે. સંરક્ષણ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ પણ અહીં પોતાની નવીનતા રજૂ કરી રહ્યા છે. આ પ્રદર્શન 15 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકો માટે આ માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ જ્ઞાન અને મનોરંજનનો એક અનોખો ઉત્સવ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:59 pm

50 હજારની લેતીદેતીમાં ચપ્પુ, લોખંડની પાઈપ અને લાકડાના ફટકા માર્યા:વતન ભાગી જનાર રાઘવ ઉર્ફે પોલાદ સહિતની ટોળકીને ઉધના પોલીસે દબોચી

સુરતના ઉધના વિસ્તારમાં જૂની અદાવત અને આર્થિક લેતીદેતીમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ચકચારી હાફ મર્ડર અને રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ઉધના પોલીસ ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 50 હજારની લેતીદેતીમાં જીવલેણ હુમલો મૂળમાં માત્ર 50,000 રૂપિયાની લેતી દેતી જવાબદાર છે. ફરિયાદીના ભાઈ મહેશ ઉર્ફે રાજાએ આશરે દોઢ મહિના પહેલા આરોપી રાઘવ ઉર્ફે પોલાદ તિવારીને મદદના હેતુથી રૂ. 50,000 રોકડા ઉછીના આપ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ રાઘવ દાનત બગડી હતી અને તે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી વતન નાસી ગયો હતો. તાજેતરમાં તે સુરત પરત આવતા મહેશે પોતાના પૈસા પરત માંગ્યા હતા, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ અદાવત રાખી રાઘવે તેના સાગરીતો સાથે મળીને મહેશ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. ચપ્પુ, લોખંડની પાઈપ અને લાકડાના ફટકા માર્યાગત તારીખ 06 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે સવા બાર વાગ્યાના અરસામાં, જ્યારે મહેશ ઉર્ફે રાજા તેના મિત્રો આશિષ અને વિવેક સિંગ સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ-1, શાકભાજી માર્કેટ સામે ઉભો હતો, ત્યારે બે ફોર-વ્હીલર ગાડીઓમાં સવાર થઈને હુમલાખોરો ત્રાટક્યા હતાં. શિવમ દુબે, રાઘવ ઉર્ફે પોલાદ, પ્રખર ઉર્ફે બોક્સર, પંકજ યાદવ અને અન્ય 4 અજાણ્યા શખ્સોએ હાથમાં ચપ્પુ, લોખંડની પાઈપ અને લાકડાના ફટકા જેવા જીવલેણ હથિયારો સાથે મહેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશ ઉર્ફે રાજાને માથાના ભાગે, નાક પર, પેટની બાજુમાં તેમજ સાથળ અને કુલાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મહેશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાઘવ ઉર્ફે પોલાદ સહિત 6 આરોપીઓની ધરપકડઘટનાની ગંભીરતા જોઈ ઉધના પોલીસે ગુનો નોંધી સર્વેલન્સ ટીમને તપાસ સોંપી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રાઘવ ઉર્ફે પોલાદ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં અજીત ઉર્ફે ગુડ્ડ (ઉ.વ. 23), પ્રખર મિશ્રા ઉર્ફે બોક્સર (બાઉન્સર, ઉ.વ. 34), રાઘવેન્દ્ર ઉર્ફે પોલાદ તિવારી (ઉ.વ. 26), શનિ પાંડે (ઉ.વ. 26), દેવેન્દ્ર ઉર્ફે મેજર (ઉ.વ. 18) અને રતનેશસિંગ ઉર્ફે ગગન (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મૂળ UPના આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને સુરતના ડીંડોલી, ભેસ્તાન અને ભટાર વિસ્તારમાં રહી છૂટક કામ કે મજૂરી કરતા હતા. હાલમાં પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:58 pm

આણંદનો એ-વન પાર્ટી પ્લોટ સીલ:મનપાએ પરવાનગી વિનાના બાંધકામ પર કાર્યવાહી કરી

કરમસદ આણંદ મહાનગરપાલિકાએ 100 ફૂટ રોડ પર આવેલા એ-વન પાર્ટી પ્લોટને સીલ કર્યો છે. જરૂરી પરવાનગીઓ અને પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા 25/4/2025 અને 06/01/2026ના રોજ મિલકત સંબંધિત પુરાવા અને પરવાનગીઓ રજૂ કરવા જણાવાયું હતું. એસ્ટેટ ઇન્સ્પેક્ટરે એ-વન પાર્ટી પ્લોટના માલિક/કબજેદારને વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા નોટિસ આપી હતી. જોકે, એ-વન પાર્ટી પ્લોટના સંચાલકો/માલિકો/કબજેદારો યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું કે તેઓએ વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, BU પરવાનગી અને ફાયર એન.ઓ.સી. જેવી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ મેળવી ન હતી. આ ઉપરાંત, પાર્ટી પ્લોટના માલિકો/સંચાલકો દ્વારા કોઈપણ વિકાસ પરવાનગી મેળવ્યા વિના બાંધકામ કરીને તેનો વાણિજ્યિક હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો. આ પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે થતો હોવાથી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી, માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક છે. ફાયર એન.ઓ.સી.ના અભાવને કારણે આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાનું જણાયું હતું. ભવિષ્યમાં કોઈ જાનમાલને નુકસાન ન થાય તે હેતુસર, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે તાત્કાલિક અસરથી એ-વન પાર્ટી પ્લોટને સીલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:55 pm

રાજકોટમાં બ્લુ ઇકોનોમી પ્રદર્શનનું ભવ્ય આયોજન:વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં જહાજ આકારના સ્ટોલ દ્વારા મેરિટાઈમ સેક્ટરની પ્રગતિ અને તકોનું જીવંત નિદર્શન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઉદ્યોગ અને સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલું આ પ્રદર્શન આગામી 15 જાન્યુઆરી સુધી નાગરિકો અને ઉદ્યોગકારો માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં કુલ 6 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં ટેકનોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જોકે, મુલાકાતીઓમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોલ નંબર 4 બની રહ્યો છે. આ હોલમાં ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ હેઠળ ગુજરાતની બ્લુ ઇકોનોમી અને દરિયાકાંઠાની સમૃદ્ધિને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા આ હોલમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. મેરિટાઈમ બોર્ડે એક વિશાળ જહાજના આકારમાં સ્ટોલ તૈયાર કર્યો છે, જે આખા એક્ઝિબિશનમાં મુખ્ય આકર્ષણ છે. આ જહાજ આકારના સ્ટોલની અંદર આધુનિક માધ્યમો દ્વારા ગુજરાતના બંદરો, જેટીઓ અને ભાવિ મેરિટાઈમ પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ પ્રદર્શન દ્વારા બંદર વિકાસની ગાથા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ગુજરાતના વધતા વર્ચસ્વને દર્શાવવામાં આવ્યું છે. ઉદ્યોગ સાહસિકો માટે અહીં રોકાણની નવી તકો અને પ્રોજેક્ટ્સનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું છે, જે નવા સાહસિકો માટે માહિતીપ્રદ સાબિત થઈ રહ્યું છે. સામાન્ય નાગરિકો માટે પણ આ જહાજની મુલાકાત એક યાદગાર અનુભવ બની રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:51 pm

ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર 21 ફૂટ મહાકાલ દર્શન:હિંમતનગરના વૈજનાથ મંદિરે મહાશિવરાત્રીની તૈયારીઓ શરૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા વૈજનાથદાદાના મંદિરે મહાશિવરાત્રી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર ૨૧ ફૂટ ઊંચા મહાકાલના ભવ્ય દર્શન ભક્તોને થશે, જેને લઈને એક મહિના અગાઉથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાયગઢના અર્પિત શુક્લાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાયગઢમાં વૈજનાથ દાદાના મંદિરે ગામના યુવાનો અને ભક્તો દ્વારા દર વર્ષે મહાશિવરાત્રીની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. આગામી 15 ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શિવરાત્રીએ વૈજનાથદાદાના મંદિરે ગુફામાં અનેક શિવ સ્વરૂપોના દિવ્ય દર્શન સાથે 21 ફૂટ ઊંચા મહાકાલના અદ્ભુત દર્શન ભક્તોને મળશે. હાલમાં ગુફાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ગુફામાં હિમપર્વત અને 21 ફૂટના શિવલિંગ ઉપર મહાકાલનો શ્રૃંગાર કરવામાં આવશે. આ ગુફા અને પર્વત બનાવવા માટે અંદાજે 602 બેગ પીઓપી (POP)નો ઉપયોગ થશે. આ ઉપરાંત, 500 જેટલા વાંસના બામ્બુ, 25 કિલો કાથી અને સુતળીની દોરી, 250 મીટર કંતાન અને 25 ગાંસડી નારિયેળનું ઘાસ સહિતની સામગ્રી વાપરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:50 pm

કાવ્યા ઠાકર સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ દ્વિતીય ક્રમે:બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2025-26માં ભજન વિભાગમાં સફળતા

પોરબંદર જિલ્લાની બોખીરા પી.એમ.શ્રી પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની કાવ્યા મનસુખ ઠાકરે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2025-26માં નોંધપાત્ર સફળતા મેળવી છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં કાવ્યાએ ભજન વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા 7 થી 13 વર્ષના બાળકો માટે વક્તૃત્વ, નિબંધ, લોકગીત, ભજન, લગ્નગીત, સમૂહગીત, લોકનૃત્ય, સાહિત્ય અને લોકવાદ્ય સહિત 20 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં યોજાઈ હતી. ધોરણ-6મા અભ્યાસ કરતી કાવ્યા ઠાકરે ભજન સ્પર્ધા (વય જૂથ: 6-14 વર્ષ, ખુલ્લો વિભાગ) માં પોતાની કલાત્મક રજૂઆત દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી. સ્પર્ધાનું આયોજન રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા મ્યુનિસિપલ ટાઉન હોલ, જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાવ્યા ઠાકરે ગત વર્ષે પણ લોકગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત, તાજેતરમાં કલા મહાકુંભ 2025-26માં સુગમ સંગીત સ્પર્ધામાં પણ તે રાજ્ય કક્ષાએ પહોંચી હતી. કાવ્યાની આ સિદ્ધિઓમાં તેમના સંગીતગુરુ માતા પ્રીતિ ઠાકરનો સંગીત વારસો અને પિતાનો સાહિત્યિક કલાત્મક સંસ્કાર વારસો તથા પ્રોત્સાહન મહત્વના રહ્યા છે. મૂળ દ્વારકા અને હાલમાં પોરબંદર રહેતી કાવ્યા ઠાકરની આ સફળતા બદલ શાળા પરિવાર, માર્ગદર્શક શિક્ષકો અને પોરબંદર જિલ્લાના સંસ્કૃતિ પ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા છે. સૌએ કાવ્યા ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સ્પર્શે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:50 pm

સેવા પરમો ધર્મ: યુવા વકીલોની પહેલ:માર્ગદર્શનના અભાવે સંઘર્ષ કરતા કાયદાના વિદ્યાર્થીઓ માટે અમદાવાદના બે યુવા વકીલો બન્યા આશાનું કિરણ

આજના આધુનિક યુગમાં માનવીને જીવનના દરેક તબક્કે કાયદાની જરૂરિયાત ઊભી થાય છે, જ્યાં વકીલની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે. સામાન્ય રીતે વકીલાતનો વ્યવસાય પેઢીદર પેઢી ચાલતો જોવા મળે છે, પરંતુ આ માહોલથી અલગ કેટલાક એવા યુવાનો પણ છે જેમણે પરિવારમાં કોઈ કાનૂની પૃષ્ઠભૂમિ ન હોવા છતાં અન્યાય સામે અવાજ ઉઠાવવા અને ગરીબોને ન્યાય અપાવવા આ માર્ગ પસંદ કર્યો છે. આ પરંપરાને આગળ વધારતા અમદાવાદના બે યુવા વકીલો, એડવોકેટ જલદીપ મુંધવા અને એડવોકેટ હેમાંગી સેજપાલ, ગુજરાતના ખૂણે-ખૂણે વસતા કાયદાના વિદ્યાર્થીઓ માટે નિઃસ્વાર્થ ભાવે માર્ગદર્શક બન્યા છે. વકીલ બનવા માટે LL.B. પૂર્ણ કર્યા બાદ ‘ઑલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન’ (AIBE) પાસ કરવી અનિવાર્ય છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાતમાંથી કુલ 13,152 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 6,008 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 7,144 વિદ્યાર્થીઓ નાપાસ રહ્યા છે. આ પરિણામ પરીક્ષાની જટિલતા સ્પષ્ટ કરે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) એ હવે LL.B. ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવાની મંજૂરી આપી છે, જે એક આવકારદાયક ફેરફાર છે. એડવોકેટ જલદીપ મુંધવા અને એડવોકેટ હેમાંગી સેજપાલ બંને એવા પરિવારોમાંથી આવે છે જ્યાં અગાઉ કોઈ વકીલ નહોતું. તેમણે LL.B. બાદ એનરોલમેન્ટ, દસ્તાવેજી પ્રક્રિયા અને AIBE પરીક્ષાની તૈયારી દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જલદીપભાઈ જણાવે છે કે, “મેં જે સંઘર્ષ કર્યો તે મારા અન્ય ભાઈ-બહેનોએ ન કરવો પડે તે હેતુથી મેં નિઃશુલ્ક માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું છે.” તેઓ માત્ર ભણાવતા જ નથી, પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મફત પુસ્તકો અને જુનિયર વકીલોને સિનિયરો પાસે પ્રેક્ટિસની તક પણ અપાવે છે. તેવી જ રીતે, ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હેમાંગી સેજપાલ માને છે કે શિક્ષણ જ્યારે સેવા બને છે ત્યારે સમાજ મજબૂત થાય છે. તેમણે જણાવ્યું કે, “મારો હેતુ માત્ર પરીક્ષા પાસ કરાવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને કાયદાની મૂળભૂત સમજ અને નૈતિક જવાબદારીઓ પ્રત્યે સજ્જ કરવાનો છે.” છેલ્લા 3 વર્ષથી (AIBE 18, 19 અને 2025 માટે) આ બંને વકીલો દિવસ દરમિયાન કોર્ટની કામગીરી પૂર્ણ કર્યા બાદ રાત્રિના સમયે વોટ્સએપ અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા ઓનલાઇન ક્લાસ લે છે. ગુજરાતના છેવાડાના વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ આ નિઃશુલ્ક સેવાનો લાભ લઈ રહ્યા છે. વકીલાત જેવા વ્યવસાયમાં જ્યાં સામાન્ય રીતે ભારે ફી વસૂલવામાં આવે છે, ત્યાં આ યુવા વકીલોની નિઃસ્વાર્થ સેવાની જ્યોત અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રકાશિત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:43 pm

ઉત્તરાયણ માટે 39 એમ્બ્યુલન્સ, 110 કર્મચારી સ્ટેન્ડબાય:અકસ્માત અને ઇમરજન્સી સેવાઓ માટે 108 સજ્જ

પાટણ જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવી છે. આ તહેવાર દરમિયાન સંભવિત અકસ્માતો અને ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કુલ 39 એમ્બ્યુલન્સ અને 110 કર્મચારીઓ ખડે પગે રહેશે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન વાહન અકસ્માત, પતંગની દોરીથી ગળામાં ઇજા, ધાબા પરથી પડી જવાના બનાવો અને ક્યારેક કરંટ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આવી ઇમરજન્સી ઘટનાઓમાં તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે 108 સેવા સતત કાર્યરત હોય છે. આ વ્યવસ્થા અંતર્ગત, જિલ્લામાં કુલ 39 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. તેમાંથી 37 એમ્બ્યુલન્સ બેઝિક લાઇફ સપોર્ટ (BLS) સિસ્ટમ આધારિત હશે, જેમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહેશે. જ્યારે 2 એમ્બ્યુલન્સ એડવાન્સ લાઇફ સપોર્ટ (ALS) સિસ્ટમ આધારિત હશે, જેમાં વેન્ટિલેટર સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવા માટે જિલ્લામાં 55 પેરામેડિકલ સ્ટાફ સહિત કુલ 110 કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. 108ના નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા દ્વારા જિલ્લામાં ક્યાંય પણ જરૂર પડે તો 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પહોંચી શકાય અને કિંમતી જીવ બચાવી શકાય.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:38 pm

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ગરબા રમઝટ:એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ લેટ થતા મુસાફરો અટવાયા, ટર્મિનલ પર જ ભજન ગાઈ વિરોધ નોંધાવ્યો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર વિમાની સેવા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ ફ્લાઈટ અનિશ્ચિત સમય માટે મોડી પડતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, આ રોષ વ્યક્ત કરવા મુસાફરોએ એક અનોખો રસ્તો અપનાવ્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી અટવાયેલા મુસાફરોએ એરપોર્ટના ટર્મિનલ પર જ ભજન અને ગરબાની રમઝટ બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શું છે સમગ્ર મામલો?મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જે દિલ્હીથી સુરત આવવાની હતી અને ત્યારબાદ સુરતથી દુબઈ માટે રવાના થવાની હતી, તેમાં મોટું વિઘ્ન આવ્યું હતું. દિલ્હીથી સુરત પહોંચ્યા બાદ આ ફ્લાઈટને અચાનક મુંબઈ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. દિલ્હી-સુરત ફ્લાઈટ સુરત આવી હોવા છતાં તેને મુંબઈ ઉતારવામાં આવી હતી. ફ્લાઈટ મુંબઈ કેમ મોકલવામાં આવી તેનું કોઈ સત્તાવાર અને સ્પષ્ટ કારણ એરલાઇન્સ દ્વારા આપવામાં આવ્યું નથી. દુબઈ જનારા મુસાફરો છેલ્લા બેથી ત્રણ કલાકથી એરપોર્ટ પર ફસાયા હતા. એરપોર્ટ બન્યું ભજન અને ગરબાનું મેદાનસામાન્ય રીતે ફ્લાઈટ મોડી પડે ત્યારે મુસાફરો એરલાઇન્સના સ્ટાફ સાથે દલીલો કરતા જોવા મળે છે, પરંતુ સુરતમાં દૃશ્યો કંઈક અલગ જ હતા. કંટાળેલા મુસાફરોએ એકઠા થઈને એરપોર્ટ પર જ તાળીઓના તાલે ભજન શરૂ કર્યા હતા અને ત્યારબાદ ગરબા રમ્યા હતા. સોશિયલ મીડિયા પર આ અનોખા વિરોધના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરોએ ભજન અને ગરબા કરીને પોતાનો સમય પસાર કર્યો છે. સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથીફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવા પાછળ ટેકનિકલ ખામી છે કે ખરાબ હવામાન, તે હજુ સુધી જાણી શકાયું નથી. એરપોર્ટ ઓથોરિટી કે એર ઈન્ડિયા એક્સપ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જેના કારણે મુસાફરોમાં ભારે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:30 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેસ્ટ ઝોન હેન્ડબોલમાં ઇતિહાસ રચ્યો:જયપુર ખાતે આંતર યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે રમતગમત ક્ષેત્રે એક અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે. રાજસ્થાનના જયપુર સ્થિત યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ ખાતે યોજાયેલી ‘વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી હેન્ડબોલ (ભાઈઓ) સ્પર્ધા 2025-26’ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધામાં યુનિવર્સિટીની ટીમે વેસ્ટ ઝોન માટે ક્વોલિફાય થયા બાદ લીગ મેચોમાં પણ પોતાની ધાક જમાવી હતી અને અંતે સેકન્ડ રનર્સ-અપ તરીકે વિજેતા બની હતી. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે અન્ય રાજ્યમાં યોજાયેલી વેસ્ટ ઝોન સ્પર્ધામાં ટીમે ક્વોલિફિકેશન સાથે લીગ તબક્કામાં પણ સફળતા મેળવી હોય. આ સિદ્ધિ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનાર સમગ્ર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે. આ ભવ્ય સફળતા પાછળ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર અને શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાનું સક્રિય માર્ગદર્શન અને પ્રોત્સાહન રહેલું છે. આ સાથે યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સહયોગને પણ બિરદાવવામાં આવ્યો છે. ટીમના કોચ-મેનેજર ડો. ભાવેશ રાબા અને રાહુલ વેગડ દ્વારા આપવામાં આવેલી સચોટ તાલીમ અને ખેલાડીઓની અવિરત મહેનતને કારણે જ આ વિજય શક્ય બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સફળતા માત્ર યુનિવર્સિટી જ નહીં, પણ સમગ્ર રાજ્યના ખેલાડીઓ માટે આગામી સમયમાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:29 pm

ગોધરામાં પોષણ અભિયાન અંતર્ગત 'પૂર્ણાની ઉડાન' કાર્યક્રમ:જિલ્લા પંચાયત કચેરી ખાતે બાળકો-કિશોરીઓને પોષણનું મહત્વ સમજાવ્યું

ગોધરા, પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં રાજ્ય સરકારના પોષણ અભિયાન અંતર્ગત 'પૂર્ણાની ઉડાન' કાર્યક્રમ યોજાયો હતો. પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકના ICDS વિભાગ દ્વારા ૧૩ જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉતરાયણ પર્વના માધ્યમથી સમાજમાં પોષણ અને આરોગ્ય અંગે વ્યાપક જાગૃતિ લાવવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પહેલનો મુખ્ય હેતુ સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ આંગણવાડીઓના નાના બાળકો તેમજ 15 થી 18 વર્ષની વયજૂથની શાળાએ ન જતી કિશોરીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત બાળકો અને કિશોરીઓને સંતુલિત અને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમને લીલા શાકભાજી, દાળ, દૂધ, ફળફળાદી તથા પોષક તત્વોથી ભરપૂર ખોરાક રોજિંદા આહારમાં સમાવિષ્ટ કરવાની માહિતી અપાઈ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમને બિરદાવ્યો હતો અને પોષણ જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો.ઉતરાયણ પર્વની ઉજવણી સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન બાળકો તથા કિશોરીઓને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું. પતંગ ચગાવવાની પ્રવૃત્તિ દ્વારા તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ICDS વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો તથા મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:29 pm

ફતેપુરામાં ભૂમાફીયાઓ બેફામ, તળાવની પાળ ખોદી ગેરકાયદે બાંધકામ!:પાણી બહાર નીકળવા લાગતા તાત્કાલિક માટી નાખી, તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં આક્રોશ

દાહોદ જિલ્લોના ફતેપુરા ગામમાં આવેલું એકમાત્ર સરકારી તળાવ હાલ ભૂમાફીયાઓના નિશાન પર આવી ગયું છે. તળાવની પાળ ખોદીને દબાણ કરી ગેરકાયદે બાંધકામ શરૂ કરાતા ગામમાં ભય અને રોષનો માહોલ છવાયો છે. છેલ્લા બે–ત્રણ દિવસથી તળાવની પાળમાં મોટા પાયે ખોદકામ કરાતા લગભગ 10 ફૂટ જેટલી પાળને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તળાવનું પાણી લીક થવાનું શરૂ થયું હતું. પાળ તૂટશે તો 500થી વધુ મકાનોમાં પાણી ઘૂસવાની શક્યતાતળાવની પાળ તોડી નાખતા જ તળાવનું પાણી બહાર નીકળવા લાગ્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા ભૂમાફીયાઓ દ્વારા તાત્કાલિક માટી નાખી પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર દેખાવ પૂરતું છે. જો ફરીથી પાળ તૂટશે તો આસપાસના 500થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ મંજૂરી નહીં, છતાં રાત-દિવસ બાંધકામચોંકાવનારી વાત એ છે કે, તળાવની પાળ ખોદી બાંધકામ શરૂ કરવા માટે ગ્રામ પંચાયત પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી, તેમ છતાં રાત-દિવસ કામ ચાલતું હતું. આ ઘટના બાદ મજૂરો સ્થળ છોડીને ભાગી ગયા હોવાની વાત પણ સામે આવી છે. તંત્રની બેદરકારીથી ભૂમાફીયાઓ બેફામ!સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે, તળાવની પાળ પર છેલ્લા બે–ત્રણ દિવસથી ખોદકામ ચાલી રહ્યું હતું, છતાં ફતેપુરા ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રે આંખ આડા કાન કર્યા. દબાણ થઈ ગયા બાદ જ પંચાયત જાગી અને સ્થળ પર નોટિસ લગાવવામાં આવી, જેનાથી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, આજથી અંદાજે એક વર્ષ અગાઉ પણ ફતેપુરા ગ્રામ પંચાયત હસ્તકના આ જ સરકારી તળાવની સ્થિતિ ગંભીર બનતા જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે પણ ભૂમાફીયાઓ દ્વારા તળાવની પાળને નુકસાન પહોંચાડી દબાણ કરવાની તજવીજ કરવામાં આવી રહી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ કલેક્ટર સહિત મામલતદાર અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તળાવની હદ તથા પાળ અંગે માપણી કરાવવામાં આવી હતી. કલેક્ટરની સૂચનાઓ અને અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂમાફીયાઓ અટક્યા નહીં, અને આજે ફરી એકવાર તળાવની પાળ ખોદી ગેરકાયદે બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે તંત્રની નિષ્ફળતા ખુલ્લેઆમ સામે આવી છે. જાગૃત નાગરિકોની રજૂઆત બાદ અધિકારીઓ દોડ્યાતાજી ઘટનાની જાણ થતાં ફતેપુરાના જાગૃત નાગરિકોએ તાત્કાલિક સરપંચ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી. ત્યારબાદ સરપંચ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ સ્થળ પર દોડી આવી અને ખોદકામ તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી હતી. ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર નોટિસ લગાવવામાં આવી છે. ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણ પંચાલે જણાવ્યું કે, “તળાવની પાળ તોડવાની જાણ થતાં અમે સ્થળ પર આવ્યા છીએ. આ બાંધકામ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. અગાઉ માપણી કરાવેલી છે, પરંતુ હાલ કેટલું દબાણ થયું છે તેની ચોક્કસ માહિતી નથી.” ફતેપુરા મામલતદાર મહેશ વાઘેલાએ આ મુદ્દે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોરે જણાવ્યું કે, “તળાવની પાળ તોડી બાંધકામ થતું હોવાની ફરિયાદ મળતા તાત્કાલિક તપાસ કરી છે. હાલ બાંધકામ બંધ કરાવ્યું છે. ગ્રામ પંચાયતને તમામ સંબંધી જમીનમાલિકોની બેઠક બોલાવવા તેમજ ખોદકામ કરનાર પાસેથી આધાર પુરાવા મેળવવા સૂચના આપવામાં આવી છે. જરૂર પડશે તો ફરી માપણી કરાવી નિયમ મુજબ કાર્યવાહી કરાશે.”

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:28 pm

ગાંધીનગરમાં સામાજિક વિવાદમાં યુવક પર જીવલેણ હુમલો:અડાલજ પાસે ફિલ્મી ઢબે ગાડી આંતરી રબારી સમાજના યુવક પર હુમલો, ચાર વિરૂદ્ધ ગુનો નોંધાયો

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં ગઈકાલે વેહલી સવારે લોહિયાળ હુમલાની ઘટના બની છે. ઝૂંડાલમાં રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા 24 વર્ષીય યુવકની ગાડી ફિલ્મીઢબે આંતરી ચાર શખસો લાકડી ધોકા વડે ઘાતકી હુમલો કર્યા પછી ગાડીમાં પણ તોડફોડ કરી 70 હજારનું નુકસાન પહોંચાડી નાસી છૂટ્યા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સફેદ કલરની ક્રેટા કારે પીછો કરવાનું શરૂ કર્યુંગાંધીનગરના ઝુંડાલ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા જયમીન મગનભાઈ દેસાઈ ગઈકાલે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે અડાલજ ચેહર માતાના મંદિરે દર્શન કરીને ગાડી લઈને ઘરે પરત જઈ રહ્યો હતો. આ દરમિયાન અડાલજ બટરફ્લાય સર્કલ પાસે એક સફેદ કલરની ક્રેટા ગાડીએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ગાડીમાંથી બે અજાણ્યા શખસો લાકડી-પાઈપ લઈ ઉતર્યાઆથી જયમીને પોતાની ગાડી લીલીવાડી હોટલ તરફ વાળતાં જ ક્રેટા ગાડીમાં સવાર શખસોએ ફિલ્મી ઢબે તેની ગાડી ઊભી રાખી દીધી હતી. બાદમાં ગાડીમાંથી નંદાસણના પીન્ટુ જામાભાઈ રબારી અને પ્રકાશ જામાભાઈ રબારી સહિત અન્ય બે અજાણ્યા શખસો લાકડી-ધોકા અને લોખંડની પાઈપ જેવા હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. હુમલાખોરોએ ઈજા પહોંચાડ્યા બાદ કારમાં તોડફોડ કરીબાદમાં પ્રકાશે લોખંડની પાઇપ વડે માથામાં ઘા મારવાનો પ્રયાસ કરતા જયમીને બચાવમાં હાથ આડો ધર્યો હતો, જેના કારણે તેમને કાંડાના ભાગે ફેક્ચર થયું હતું. જ્યારે હુમલાખોરોએ લાકડાના ધોકા અને પાઇપ વડે ગાડીના તમામ કાચ તોડી અંદાજે 70,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. પોલીસે ચાર શખસો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યોઆ અંગે પોલીસે જણાવ્યું હતું કે, જયમીનના કૌટુંબિક બહેન રોશનીબેનના લગ્ન નંદાસણના વિષ્ણુભાઈ સાથે થયા હતા. છેલ્લા બે માસથી સામાજિક પ્રશ્નોને કારણે દીકરી પિયર પરત આવી હતી. આ મામલે થતી સામાજિક બેઠકોમાં જયમીન પરિવાર સાથે હાજર રહેતો હોવાથી તેની અદાવત આરોપી પીન્ટુ અને પ્રકાશે રાખી હુમલો કર્યો હતો. હાલમાં પીન્ટુ રબારી, પ્રકાશ રબારી અને અન્ય બે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનાહિત કાવતરું, જીવલેણ હુમલો અને તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:28 pm

લુણાવાડામાં ઉતરાયણ પૂર્વે પતંગ બજારમાં ભીડ:લોકોએ પતંગ, દોરી, અન્ય વસ્તુઓની અંતિમ તબક્કાની ખરીદી કરી

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ઉતરાયણ પર્વના આગલા દિવસે પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ પતંગ, દોરી અને અન્ય આનુષંગિક વસ્તુઓની અંતિમ તબક્કાની ખરીદી કરી હતી, જેના પગલે વેપારીઓમાં સંતોષ જોવા મળ્યો હતો. જાન્યુઆરી માસની શરૂઆતથી જ લુણાવાડાના પતંગ બજારોમાં વિવિધ પ્રકારની પતંગો, દોરી અને માંજાનું વેચાણ શરૂ થઈ ગયું હતું. જોકે, શરૂઆતના દિવસોમાં ગ્રાહકી ઓછી હતી. પરંતુ, જેમ જેમ ઉતરાયણ નજીક આવતી ગઈ તેમ તેમ ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. આજે, 13 જાન્યુઆરીના રોજ, ઉતરાયણના આગલા દિવસે બજારોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં ગ્રાહકીમાં નોંધપાત્ર વધારો થયો છે અને અંતિમ દિવસે સંપૂર્ણ ઘરાકી જોવા મળી રહી છે. ભાવમાં કોઈ ખાસ વધારો ન હોવાથી પણ લોકો ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના મતે, રાત્રે મોડા સુધી પતંગ બજારો ખુલ્લા રહેશે અને લોકો ખરીદી ચાલુ રાખશે. લુણાવાડા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને જિલ્લાભરમાંથી પણ લોકો પતંગ-દોરીની ખરીદી માટે અહીં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:27 pm

બોટાદ ARTO દ્વારા તુરખા શાળામાં માર્ગ સલામતી સેમિનાર:350 વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

બોટાદના ARTO દ્વારા તુરખા માધ્યમિક શાળામાં માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં આશરે 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. દ્વિચક્ર વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ અને ચાર ચક્ર વાહનમાં સીટબેલ્ટ ફરજિયાત બાંધવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, સલામત માર્ગ વ્યવહાર અંગે પણ માહિતી અપાઈ હતી. માર્ગ અકસ્માત સમયે પીડિતોને સમયસર મદદ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા રાહવીર પતંગ અને માર્ગ સલામતી વિષયક પેમ્ફ્લેટનું વિતરણ કરાયું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:25 pm

ખંઢેરી સ્ટેડિયમ પાસે 7 સ્થળે પાર્કિંગ વ્યવસ્થા:જામનગરથી આવતા પડધરી-મોવિયા સર્કલથી અને રાજકોટથી જતા મોટા વાહનોને માધાપર ચોકથી ડાયવર્ટ કરાશે

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાનાર ભારત અને ન્યૂઝીલેન્ડની આંતરરાષ્ટ્રી મેચને લઇ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. 30,000 જેટલા લોકો મેચ નિહાળવા આવનાર હોવાથી પાર્કિંગ તેમજ સુરક્ષા-વ્યવસ્થ પણ ગોઠવી દેવામાં આવી છે. આ માટે સ્ટેડિયમ આસપાસ સાત સ્થળો પર પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને રેન્જ આઇજી અને ગ્રામ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં 700 પોલીસકર્મી અને 400 ટીઆરબી તેમજ હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મેચના દિવસે જામનગરથી રાજકોટ આવતા ભારે વાહનો માટે પડધરી-મોવિયા સર્કલથી તેમજ રાજકોટથી જામનગર જતા ભારે વાહનો માટે માધાપર ચોકથી પ્રવેશ બંધ ફરમાવી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બોમ્બ-ડોગ સ્ક્વોડથી ચેકિંગ, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, મેચને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 3 એએસપી, 4 ડીવાયએસપી, 14 પીઆઇ, 42 પીએસઆઈ સહીત 700 પોલીસ કર્મી અને 400 ટીઆરબી તેમજ હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત SCA તરફથી ખાનગી સિક્યોરિટી બાઉન્સર પણ રાખવામાં આવ્યા છે. અહીંયા ખાસ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સતત પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. બૉમ્બ સ્ક્વોડથી તેમજ ડોગ સ્ક્વોડ મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જ્યારે 100 જેટલા બોડી વોર્ન કેમેરા મદદથી પણ પોલીસ દ્વારા સુરક્ષા રાખવામાં આવશે. જ્યારે સ્ટેડિયમ આસપાસ ડ્રોન ઉડાડવા પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમ પાસે 7 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાખંઢેરી સ્ટેડિયમ ખાતે સ્ટેડિયમની આસપાસમાં કુલ 7 જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે પાર્કિંગમાં કુલ 5000 જેટલી મોટરકાર અને 5000થી વધુ ટુ-વ્હીલર પાર્ક થઇ શકે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાર્કિંગ સરકારી ખરાબા અને અન્ય જગ્યાઓમાં ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ અનધિકૃત જગ્યામાં વાહનો પાર્કિંગ થશે તો તેમને ટોઇંગ કરી દેવામાં આવશે. લોકોએ પાસ પ્રમાણે વાહન પાર્ક કરવાનું રહેશેજે લોકોને સાઉથ એન્ટ્રી ગેટમાં કાર પાર્કિગનો પાસ મળ્યો છે, તેઓએ મેઇન એન્ટ્રી ગેઇટ-1 ઉપરથી પ્રવેશ મેળવી અને સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિગમાં વાહન પાર્ક કરવાનુ રહેશે. તેમજ જે લોકોને ઇસ્ટ પાર્કિંગનો પાસ મળ્યો છે તેઓએ શિવ શકિત હોટેલથી યુ-ટર્ન લઇ આઉટર મીડિયા ગેઇટ નં.3થી પ્રવેશ મેળવી સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિગમાં વાહન પાર્ક કરવાનું રહેશે. રાજકોટ-જામનગર રોડ પર સવારના 10થી રાતના 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટ આ મેચમાં અંદાજિત 30 હજાર જેટલા પ્રેક્ષકો વાહન સાથે આવનાર હોવાથી, ત્યારે આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ ઉપર હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ શકે છે. જેથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને ટ્રાફિકજામને નિવારવા માટે રાજકોટ-જામનગર રોડ ઉપર આવતીકાલે (14 જાન્યુઆરી) સવારના 10 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની દરખાસ્તના આધારે જામનગરથી રાજકોટ તરફ આવતા ટ્રક, ટ્રેઈલર અને ટેન્કર જેવા મોટા વાહનોને પડધરી-મોવિયા સર્કલથી ડાઈવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઈ રાજકોટ તરફ આવશે. એજ રીતે રાજકોટથી જામનગર જતા ભારે વાહનોને માધાપર ચોક ખાતેથી ડાયવર્ટ કરવામાં આવશે. ટિકિટની કાળાબજારી સામે પણ પોલીસ એલર્ટઉલ્લેખનીય છે કે વડોદરામાં ટિકિટની કાળાબજારી થતી હોવાનું સામે આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખી રાજકોટમાં પણ ગ્રામ્ય સાયબર પોલીસ ટીમ સતર્ક છે. ટિકિટની કાળાબજારી ન થાય તે માટે મોનિટરિંગ કરી રહી છે. ઉપરાંત ફિઝિકલ સ્થળ પર કોઈ જગ્યાએ ટિકિટની કાળાબજારી થતી હોય તો તેમના વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી ક્રિકેટ મેચ જોવા આવતા પ્રેક્ષકોને સૂચના(1) સ્ટેડીયમની અંદર બેગ, ટિફિન, બીડી, માચીસ, લાઇટર, કેમેરો, વીડિયો કેમેરા, લાકડી, હથિયાર એવી કોઇપણ વસ્તુ અંદર લઇ જઇ શકશે નહીં.(2) શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ વ્યકિત જણાય તેના ઉપર નજર રાખો.(3) કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્કાલિક નજીકના પોલીસ ઓફિસરોને જાણ કરવી.(4) વાહનો નિયત કરેલ પાર્કિગમાં જ પાર્ક કરવા.(5) કોઇ વ્યકિત સ્ટેડિયમમાંથી ગ્રાઉન્ડમાં કોઇ પદાર્થ ફેંકતા પકડાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.(6) સ્ટેડિયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહીં.(7) જો તમારે કોઇ સમસ્યા છે તો નજીકના પોલીસ ઓફીસરનો સંપર્ક કરો અથવા મેઇન એન્ટ્રી ગેઇટ ખાતે “પોલીસ સહાયતા કેન્દ્ર” ખોલવામાં આવે છે, જેથી ત્યાં જઇ અને તમારી સમસ્યા ગભરાયા વગર પોલીસ ઓફીસરને જણાવી શકો છો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:25 pm

આણંદમાં પૂર્ણા યોજના હેઠળ પોષણ ઉડાન કાર્યક્રમ યોજાયો:કિશોરીઓને મહિલા સશક્તિકરણ અને પોષણયુક્ત આહાર અંગે જાગૃત કરાયા

આણંદના ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, વિભાગીય નાયબ નિયામકની કચેરી (વડોદરા ઝોન) અને આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત “પોષણ ઉડાન-૨૦૨૬ (સપનાની પાંખ) કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. મંત્રી કમલેશભાઈ પટેલે નારી શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે પણ સૃષ્ટિ પર સંકટ આવ્યું છે, ત્યારે જગતજનની ભવાનીએ પ્રગટ થઈ અધર્મનો નાશ કર્યો છે. તેમણે માતા જીજાબાઈ અને રાણી લક્ષ્મીબાઈ જેવા ઐતિહાસિક પાત્રોના ઉદાહરણો આપી ભારતીય નારીઓના શૌર્ય અને સંસ્કારોનું વર્ણન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ નારી, સશક્ત પરિવારના સંકલ્પને સાકાર કરવા કિશોરીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ પીઝા, બર્ગર અને ચાઈનીઝ જેવા મેંદાના ખોરાકને બદલે વડાપ્રધાન દ્વારા સૂચવેલા 'શ્રી અન્ન' (મિલેટ્સ) જેવા કે બાજરી, જુવાર, રાગી અને કુલેલ જેવા પૌષ્ટિક આહાર અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સીઝનેબલ ફળો અને શાકભાજી ખાવાની પણ ભલામણ કરી હતી. મંત્રીએ ઉમેર્યું કે સાત્વિક અને પોષણક્ષમ ખોરાક હિમોગ્લોબીન જેવી ખામીઓ દૂર કરી રોગમુક્ત જીવન જીવવામાં મદદ કરશે. સાંસદ મિતેશભાઈ પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મિલેટ્સ' (જાડા ધાન) અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે બાજરી અને જુવાર જેવા પૌષ્ટિક આહારથી વડીલો દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન જીવતા હતા. આજના યુગમાં જંક ફૂડને કારણે યુવાનોમાં કેન્સર અને હાર્ટ એટેક જેવી બીમારીઓ વધી રહી છે, તેથી પૌષ્ટિક આહાર અપનાવવો અનિવાર્ય છે. તેમણે કુપોષિત દીકરીઓના પોષણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી હતી. કાર્યક્રમ પૂર્વે ટાઉનહોલના કમ્પાઉન્ડમાં 'શ્રી અન્ન' અને અન્ય સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓના સ્ટોલ તેમજ યોજનાકીય માહિતી અને આરોગ્ય તપાસના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. મંત્રી, સાંસદ અને અન્ય મહાનુભાવોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના ભાગરૂપે પતંગ ડિઝાઇન સ્પર્ધા, લીંબુ ચમચી, સંગીત ખુરશી અને કોથળા દોડ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા કિશોરીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, વિભાગીય નાયબ નિયામક દિશાબેન ડોડીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન નીતાબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થી કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:23 pm

ડાંગ જિલ્લામાં ઉતરાણ પૂર્વે હવામાનમાં પલટો:આકાશ વાદળછાયું, ઠંડા પવનો ફૂંકાતા તાપમાન ઘટ્યું

ઉતરાણના તહેવારને એક દિવસ બાકી છે ત્યારે ડાંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. જિલ્લાના આહવા, સુબીર અને વઘઈ – ત્રણેય તાલુકાઓમાં સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. આજ સવારથી સૂર્યના દર્શન દુર્લભ બન્યા હતા. આકાશમાં ગાઢ વાદળો છવાતા દિવસ દરમિયાન પ્રકાશ ઓછો રહ્યો અને હવામાન સામાન્ય દિવસોની સરખામણીએ ઠંડું લાગ્યું. ઠંડા પવનના ઝોકા સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ખાસ કરીને રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડકનો અનુભવ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં હલકી ઝાકળ અને ભેજભર્યો માહોલ પણ અનુભવાયો હતો. આ બદલાયેલા હવામાનથી પ્રવાસીઓ પણ આનંદિત થયા છે. સ્થાનિક વેપારીઓનું માનવું છે કે જો આવું હવામાન યથાવત રહેશે તો ઉતરાણ દરમિયાન પ્રવાસન પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવના છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ હવામાન પર નજીકથી નજર રાખી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે જો વાદળછાયું વાતાવરણ લાંબો સમય રહેશે તો શિયાળુ પાકો પર તેની અસર પડી શકે છે. જોકે, વરસાદ ન પડતાં હાલ કોઈ ખાસ નુકસાનની આશંકા નથી. હવામાન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ આગામી એક-બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે તાપમાનમાં સામાન્ય ઘટાડો અનુભવાઈ શકે છે. ઉતરાણના તહેવાર દરમિયાન ડાંગ જિલ્લામાં ઠંડકભર્યું વાતાવરણ જોવા મળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:23 pm

'વિદ્યાયા સમજોત્કર્ષ દિવસ' ઉજવાયો:ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી

ગણપત યુનિવર્સિટીના મુખ્ય દાતા, અધિષ્ઠાતા અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલનો જન્મદિવસ 12 જાન્યુઆરીએ યુનિવર્સિટીના પ્રાંગણમાં અત્યંત ઉત્સાહ અને દબદબા સાથે વિદ્યાયા સમજોત્કર્ષ : દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ, સેવા અને રાષ્ટ્રભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે સમગ્ર યુનિવર્સિટી પરિવાર વતી ગણપતદાદાને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દાદાનું વિઝન અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માત્ર વર્તમાન યુવા પેઢી જ નહીં, પરંતુ આગામી અનેક પેઢીઓના ચારિત્ર્ય નિર્માણમાં પથદર્શક બની રહેશે. સમારોહમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સેવન ગુજરાત બટાલિયન NCCના લેફ્ટનન્ટ ડૉ. સ્વાતિ નિગમે રક્ષાશક્તિ સ્કૂલની NCC કેડેટ્સની હાજરીને બિરદાવી હતી. તેમણે 'ઓપરેશન સિંદૂર'માં મહિલા અધિકારીઓના પ્રદાનનો ઉલ્લેખ કરી દીકરીઓને હિંમતવાન બનવા પ્રેરણા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિસ્ત અને સમર્પણ એ ભારતીય લશ્કરનો આત્મા છે. દેશના અગ્રણી ફાર્મા લીડર અને ‘આઈકનેક્ટર ફાર્મા ઇનોવેશન્સ’ના ફાઉન્ડર ડૉ. પથિક સુભાષચંદ્ર બ્રહ્મક્ષત્રિયે સ્વામી વિવેકાનંદ અને ગણપતદાદાના જીવનકાર્ય વચ્ચે સામ્યતા દર્શાવતા તેમને માનવતાના નિસ્વાર્થ સેવકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, વિદ્યા દ્વારા સમાજ ઉત્કર્ષ એ જ સાચી ચેરિટી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સંપત્તિની મર્યાદા હોય છે, પરંતુ જ્ઞાન અનંત અને ટકાઉ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ ટાંકી તેમણે 'દાસ' બનીને 'લીડર' તરીકે સેવા કરવાની ભાવના કેળવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પોતાના જન્મદિવસની ઉજવણી પ્રતિ પ્રતિભાવ આપતા પદ્મશ્રી ગણપતભાઈ પટેલે અત્યંત નમ્રતાપૂર્વક જણાવ્યું કે, મને મળેલું પદ્મશ્રી સન્માન એ કોઈ વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તેમાં આપ સૌનો સહયોગ અને ભાગીદારી છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાનાં સંતાનો સમાન ગણાવી આ ઉજવણીને સમાજ સેવાના સ્મરણ તરીકે ઓળખાવી હતી. સ્વામી વિવેકાનંદના ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ના મંત્રને ટાંકીને તેમણે શિક્ષણને માત્ર પદવી પૂરતું સીમિત ન રાખતા ચારિત્ર્ય નિર્માણનું સાધન બનાવવા હાકલ કરી હતી. આ મંગલમય અવસરે યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. આર. કે. પટેલ, પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. સત્યેન પરીખ, ડૉ. સૌરભ દવે, રજીસ્ટ્રાર ડૉ. ગિરીશ પટેલ, ટ્રસ્ટીઓ સર્વશ્રી જયંતીભાઈ પટેલ, સોમભાઈ રાયકા, પ્રવીણભાઈ પટેલ તેમજ વિવિધ વિભાગોના ડિન્સ અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રો. ડૉ. દીપાલી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે યુનિવર્સિટી ગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:22 pm

હિંમતનગરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન રેલી:પક્ષી સંરક્ષણ જાગૃતિ માટે ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું, શહેરભરમાં ફરી

હિંમતનગરમાં સાબરકાંઠા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ટાવર ચોક ખાતેથી લીલી ઝંડી આપીને આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનું આયોજન સાબરકાંઠાના નાયબ વન સંરક્ષક પી.જે. ચૌધરી અને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. ડી.એફ. ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં સાબરકાંઠા વન વિભાગના ક્ષેત્રીય કર્મચારીઓ, 1962 હેલ્પલાઇન સ્ટાફ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યો, સાબરકાંઠા જિલ્લાના જીવદયા ક્ષેત્ર સાથે સંકળાયેલા એનજીઓ અને જીવદયા પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી ટાવર ચોકથી શરૂ થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ન્યાય મંદિર, મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ, મોતીપુરા, ખેડ તસિયા રોડ પર છાપરિયા ચાર રસ્તા, મહાવીરનગર, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, રેલવે ઓવરબ્રિજ થઈને પરત ટાવર ચોક ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા અને તેમને સારવાર પૂરી પાડવા માટે જનજાગૃતિ ફેલાવવાનો હતો. કરુણા અભિયાન-2026ની માર્ગદર્શિકા મુજબ, ઘવાયેલા પક્ષીઓને નજીકના પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા, સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ ન ઉડાવવા, ચાઇનીઝ માંઝાનો ઉપયોગ ન કરવા અને ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પોલીસ અથવા વન વિભાગને જાણ કરવા જેવા સંદેશાઓ સાથે જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઘાયલ પક્ષીઓના બચાવ, રાહત અને ફરિયાદ નિવારણ માટે વન વિભાગની હેલ્પલાઇન 1962 અને 8320002000 વિશેષ પ્રચાર-પ્રસાર કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પક્ષી નિદાન અને સારવાર કેન્દ્રોની માહિતી ઓનલાઇન મેપ લિંક દ્વારા સ્વયં સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર 8320002000 પર HI મેસેજ મોકલીને મેળવી શકાય છે. આ નંબરને તમામ હોર્ડિંગ્સ અને પ્રચાર માધ્યમોમાં વોટ્સએપ નંબર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:21 pm

ગોધરા પોલીસે ગુનેગારો માટે મેન્ટરશિપ કાર્યક્રમ યોજ્યો:SP દુધાતે ભૂતકાળ ભૂલી મુખ્ય પ્રવાહમાં જોડાવા આહવાન કર્યું

પંચમહાલ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સામાજિક સુધારણા માટે એક પહેલ કરી છે. ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં 'મેન્ટરશિપ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાનો છે. આ બેઠકમાં અગાઉ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે આરોપીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારીને જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા પર ભાર મૂક્યો હતો, જેને સાચું પરિવર્તન ગણાવ્યું હતું. એસપી દુધાતે ઉપસ્થિત સૌને કાયદાનું પાલન કરવા અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ગુનાખોરીનો માર્ગ છોડી મહેનત અને પ્રામાણિકતા અપનાવે, તો સમાજ તેને સ્વીકારવા હંમેશા તૈયાર હોય છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં DySP બિંદાબા જાડેજા, LCB PI અને SOG PI સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પહેલ દ્વારા પોલીસ તંત્રએ માત્ર ગુનેગારોને પકડવા જ નહીં, પરંતુ તેમને સુધારીને એક સુસંસ્કૃત સમાજની રચનામાં સહભાગી બનાવવાનો સંદેશ આપ્યો છે. કાર્યક્રમને પગલે ઉપસ્થિત લોકોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:15 pm

દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી:ભેસ્તાન પોલીસે કુખ્યાત ઈમરોઝ અને તેની ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક, હત્યા, લૂંટ અને ડ્રગ્સ સહિતના અસંખ્ય ગુના

સુરત શહેરના ઉન, ભેસ્તાન અને પાંડેસરા જેવા વિસ્તારોમાં લાંબા સમયથી ભયનો માહોલ પેદા કરનાર કુખ્યાત 'દાલ ચાવલ ગેંગ' વિરૂદ્ધ આખરે કાયદાનો ગાળિયો કસાયો છે. શહેરના ઉન વિસ્તારમાં આવેલા અલ ખલીલ ટી સેન્ટર પર બનેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને હચમચાવી દીધું હતું. જ્યાં આ ગેંગના સભ્યોએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં શકીલ ઉર્ફે બાંગા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગેંગના મુખ્ય સૂત્રધાર ઈમરોઝ મજીદ અંસારી સહિત તેના સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ભેસ્તાનમાં ગેંગના સભ્યોએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં શકીલ ઉર્ફે બાંગા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હિંસક કૃત્ય બાદ લોકોમાં વ્યાપેલી દહેશતને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ દ્વારા ગેંગના મુખ્ય સૂત્રધાર ઈમરોજ મજીદ અંસારી સહિત તેના સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા, લૂંટ, ચેઈન સ્નેચિંગ અને ડ્રગ્સના કેસોમાં સંડોવણીપોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં મુખ્ય આરોપી ઈમરોઝ મજીદ અંસારી, સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા, શાહરૂખ મજીદ અંસારી અને અરબાજ ઉર્ફે બાબા પઠાણનો સમાવેશ થાય છે. આ ટોળકી માત્ર મારામારી જ નહીં. પરંતુ સુરત શહેરના વિવિધ પોલીસ મથકોમાં હત્યા, લૂંટ, ચેઈન સ્નેચિંગ અને ડ્રગ્સના કાળા કારોબાર જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતી. ભેસ્તાન અને ઉન વિસ્તારના રહીશો માટે આ ગેંગ આતંકનો પર્યાય બની ગઈ હતી. ગેંગના સભ્યો અવારનવાર શસ્ત્રોના જોરે લોકોને ધમકાવતા અને ગેરકાયદેસર ઉઘરાણી કરતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાયેલી છે. પોલીસ કમિશનરના આદેશ અનુસાર, આ ગેંગની તમામ હિલચાલ પર વોચ રાખીને આખરે તેમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઇમરોઝ બે વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે આ ગેંગના ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો તે અત્યંત ચોંકાવનારો છે. મુખ્ય સૂત્રધાર ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલ વિરૂદ્ધ પાંડેસરા, ખટોદરા, ઉધના, ભેસ્તાન અને સચિન જેવા મોટા પોલીસ સ્ટેશનોમાં કુલ 16થી વધુ ગંભીર ફરિયાદો નોંધાયેલી છે. તેની ગુનાહિત માનસિકતાને જોતા અગાઉ તેને બે વખત પાસા હેઠળ જેલ ભેગો કરવામાં આવ્યો હતો અને તડીપારની સજા પણ ફટકારવામાં આવી હતી, તેમ છતાં તેની પ્રવૃત્તિઓમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તે જ રીતે ગેંગનો બીજો ખતરનાક આરોપી સલમાન ઉર્ફે લસ્સી પણ ગુનાખોરીમાં પીઢ છે. તેની વિરૂદ્ધ લિંબાયત, ડિંડોલી, પાંડેસરા અને મરોલી પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાંઆ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે આ ટોળકી કોઈ સંગઠિત ક્રાઈમ સિન્ડિકેટની જેમ કામ કરી રહી હતી. જેના કારણે જ પોલીસે તેમની વિરૂદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. ઘટનાની વિગતો મુજબ, થોડા સમય પહેલા ઉનના ભીંડી બજાર પાસે આયોજનબદ્ધ રીતે આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ શકીલ અને તેના મિત્રને મળવાના બહાને ટી સેન્ટર પર બોલાવ્યા હતા અને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા. આ ગેંગનો ઉદ્દેશ્ય વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો અને લોકોમાં ડર પેદા કરવાનો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી શાહરૂખ મજીદ અંસારી અને અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પણ અનેક મારામારી અને લૂંટના કેસોમાં વોન્ટેડ હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગ યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના વેપારમાં પણ સક્રિય હતી. આ તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની વધુ પૂછપરછમાં અન્ય મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:15 pm

બોટાદના ધારાસભ્યએ DIET બિલ્ડીંગ-GIDCની મુલાકાત લીધી:શિક્ષણ અને ઉદ્યોગને વેગ આપતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે જિલ્લામાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે રૂ. 14 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડાયટ (DIET) બિલ્ડીંગ અને રૂ. 22 કરોડના ખર્ચે બની રહેલી જીઆઈડીસી (GIDC)ના કાર્યોની સમીક્ષા કરી હતી. આ બંને પ્રોજેક્ટ્સ બોટાદના શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ડાયટ બિલ્ડીંગનું કાર્ય પૂર્ણ થવાના આરે છે, જેના કારણે બોટાદને ટૂંક સમયમાં સરકારી બી.એડ. કોલેજની મંજૂરી મળવાની સંભાવના છે. આ નવી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આનાથી સ્થાનિક વિદ્યાર્થીઓને બી.એડ.ના અભ્યાસ માટે અન્ય શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં. આ ઉપરાંત, ધારાસભ્ય મકવાણાએ બોટાદના કાનીયાડ ખાતે નિર્માણાધીન જીઆઈડીસીની પણ પ્રગતિ તપાસી હતી. રૂ. 22 કરોડના ખર્ચે આકાર લઈ રહેલી આ જીઆઈડીસી બોટાદના ઔદ્યોગિક વિકાસને નોંધપાત્ર વેગ આપશે અને નવા ઉદ્યોગોને આકર્ષશે. આ જીઆઈડીસી વિસ્તારમાં ટૂંક સમયમાં પ્લોટોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આના પરિણામે નવા ઉદ્યોગો સ્થાપિત થશે અને સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે શિક્ષણ અને ઉદ્યોગ બંને ક્ષેત્રે થઈ રહેલા આ વિકાસથી બોટાદના સર્વાંગી વિકાસને ગતિ મળશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા સમયમાં બોટાદ જિલ્લો વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:08 pm

‘સરપંચોને વિશ્વાસમાં લો, ગ્રામસભાના ફતવા પાડવાનું બંધ કરો’:GeM પોર્ટલ-GST મુદ્દે 53 ગામના સરપંચો ગ્રામસભાનો બહિષ્કાર કરશે, માત્ર જૂનાગઢમાં જ ગ્રાન્ટમાંથી GST કપાય છે

​કેશોદ તાલુકાના પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી તંત્ર અને સરકારની નીતિઓ સામે એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે. કેશોદ મુકામે તાલુકાના તમામ 53 ગામોના સરપંચોની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો અને પંચાયતોની સ્વાયત્તતા છીનવવાના પ્રયાસો સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સરપંચોએ એકસૂરે નિર્ણય કર્યો છે કે આગામી 15 અને 16 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જે ગ્રામસભાઓનું આયોજન કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. સરપંચોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામડાઓમાં કોઈ પણ સરકારી સભાઓ યોજવા દેવામાં આવશે નહીં. ‘ખરીદી માટે પંચાયતો પાસે સત્તા નથી’​આ બેઠકમાં સુત્રેજ ગામના સરપંચ કાનાભાઈ સુત્રેજાએ વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલમાં ગ્રામ પંચાયતોને સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા અને સફાઈના સાધનોની ખરીદી માટે GeM (Government e-Marketplace) પોર્ટલનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ખરીદી માટે પંચાયતો પાસે સત્તા નથી, બલ્કે સરકાર અને જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરેલી એજન્સીઓ મારફત જ માલ ખરીદવો પડે છે. ‘ગ્રામ પંચાયતના સ્વતંત્ર GeM આઈડી ખોલવા માગ’કાનાભાઈએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ એજન્સીઓ દ્વારા અત્યંત હલકી ગુણવત્તાના સાધનો પૂરા પાડવામાં આવે છે, જેના કારણે ટૂંકા સમયમાં જ ગામની સુવિધાઓ ખોરવાઈ જાય છે. તેમણે સ્પષ્ટ માગ કરી હતી કે દરેક ગ્રામ પંચાયતના સ્વતંત્ર GeM આઈડી ખોલવા જોઈએ જેથી સરપંચ પોતે પારદર્શક રીતે ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓની ખરીદી કરી શકે. ‘સરકાર સીધા પરિપત્રો જાહેર કરીને લોકશાહી અધિકાર પર તરાપ મારે છે’​અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરાએ પણ પંચાયતી કાયદાના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિયમ મુજબ ગ્રામસભાનો સમય અને તારીખ નક્કી કરવાની સત્તા ગ્રામ પંચાયત અને સરપંચની હોય છે, પરંતુ સરકાર સીધા પરિપત્રો જાહેર કરીને આ લોકશાહી અધિકાર પર તરાપ મારી રહી છે. ‘ગુજરાતમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં જ વિકાસકામોની ગ્રાન્ટમાંથી GST કપાય છે’મગનભાઈએ GST મુદ્દે પણ તંત્રને આડે હાથ લેતા કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં જ વિકાસકામોની ગ્રાન્ટમાંથી GST કાપવામાં આવે છે. ગીર સોમનાથ, અમરેલી કે રાજકોટ જેવા પાડોશી જિલ્લાઓમાં આવી કોઈ કપાત થતી નથી, તો માત્ર જૂનાગઢના ગ્રામીણ વિકાસના નાણાં કેમ કાપવામાં આવે છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ અન્યાયી નીતિને કારણે ગામના નાના-નાના વિકાસકામો માટે ફાળવવામાં આવેલી પૂરી રકમ વપરાતી નથી અને કામો અધૂરા રહે છે. ‘અધિકારીઓનો અભિગમ હકારાત્મક નહીં રહે તો પંચાયતી રાજનું માળખું પડી ભાંગશે’​આ સમગ્ર આંદોલનને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે કેશોદમાં 'સરપંચ સંગઠન'ની રચના કરવામાં આવી છે, જેના પ્રમુખ તરીકે મુળુભાઇ રાવલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મુળુભાઇ રાવલીયાએ શાસક તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો અધિકારીઓનો અભિગમ હકારાત્મક નહીં રહે તો પંચાયતી રાજનું માળખું પડી ભાંગશે. ‘સરપંચોને વિશ્વાસમાં લો, વારંવાર ગ્રામસભાના ફતવાઓ બહાર પાડવાનું બંધ કરો’તેમણે કહ્યું હતું કે 53 ગામો પૈકી 85 ટકા સરપંચો પ્રત્યક્ષ હાજર રહ્યા છે અને બાકીના લોકોએ ટેકો જાહેર કર્યો છે, જે દર્શાવે છે કે આ લડત કેટલી મજબૂત છે. તેમણે મુખ્યમંત્રી અને વિકાસ કમિશનરને સંબોધતા કહ્યું હતું કે જો વડાપ્રધાનના 'આદર્શ ગ્રામ'ના સપના સાકાર કરવા હોય તો અધિકારીઓએ સરપંચોને વિશ્વાસમાં લેવા પડશે અને વારંવાર ગ્રામસભાના ફતવાઓ બહાર પાડવાનું બંધ કરવું પડશે. જ્યાં સુધી પંચાયતોને મુક્ત બજારમાંથી ખરીદી કરવાની છૂટ અને GSTમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી કેશોદનો કોઈ પણ સરપંચ વહીવટી તંત્રને સહકાર આપશે નહીં તેવો નિર્ધાર આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:05 pm

પોરબંદરના નવા વિસ્તારોમાં ₹9 કરોડની પાણી યોજના મંજૂર:પીવાના પાણીની સમસ્યા ઉકેલવા નગરપાલિકાનો નિર્ણય

પોરબંદર શહેરના વિસ્તરણ બાદ નવા ભળેલા ચાર ગામોમાં પીવાના પાણીની સુવિધા સુદ્રઢ કરવા નગરપાલિકા તંત્ર દ્વારા ₹9 કરોડની યોજનાને મંજૂરી અપાઈ છે. આ યોજના અંતર્ગત પાણીનું નેટવર્ક અપગ્રેડ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ નવા સંપ અને ઊંચી ટાંકીઓનું નિર્માણ કરાશે. હાલની પાઈપલાઈનને વધુ સક્ષમ બનાવવામાં આવશે, જેથી પૂરતા દબાણથી પાણી મળી રહે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં અત્યાર સુધી પાણીની સુવિધા ઉપલબ્ધ નહોતી, ત્યાં નવું પાઈપલાઈન નેટવર્ક ઊભું કરાશે. આનાથી વ્યાપક કવરેજ સુનિશ્ચિત થશે. હાલમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એજન્સી પણ નક્કી કરી લેવામાં આવી છે. હવે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી તેની મંજૂરી મેળવવાની બાકી છે. મંજૂરી મળતાની સાથે જ તાત્કાલિક વર્ક ઓર્ડર આપીને કામગીરી શરૂ કરી દેવાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પોરબંદરના નવા વિસ્તારોના રહેવાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:05 pm

વડોદરાનો મહાઠગ બિલ્ડર ઝડપાયો:'ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના નામે દુકાન, શો રૂમ, ઓફિસ બનાવી આપવાનું કહીને કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપીની એક્સપ્રેસ હાઇવે પરની ધરપકડ

વડોદરામાં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટ ચલાવી દુકાન, શો રૂમ અને ઓફિસ બનાવી આપવાના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરની ધરપકડ કરી છે. આરોપીએ દુકાનોનું બાંધકામ કરી આપવાના બહાને અનેક નાગરિકો પાસેથી કરોડો રૂપિયા લીધા બાદ બાંધકામ પૂર્ણ ન કર્યું અને પોઝેશન આપ્યું નહોતું. આ ઉપરાંત લીધેલી રકમ પરત પણ ન કરી નહોતી, જેથી આરોપી સામે ઠગાઈના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદથી એક્સપ્રેસ હાઇવે રોડ મારફતે કારમાં વડોદરા તરફ આવી રહ્યો છે. માહિતીના આધારે એક્સપ્રેસ હાઇવે પર વોચ રાખવામાં આવી હતી અને કારને રોકી તપાસ કરતાં ગોરવા તથા બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી મનિષ પટેલ મળી આવ્યો હતો. આરોપીને ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ગુનાહીત ઇતિહાસ મનિષ પટેલ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં 18 જેટલા ઠગાઈના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ 'ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ' પ્રોજેક્ટમાં દુકાન આપવાના બહાને એક ફરિયાદી પાસેથી 23.49 લાખ રૂપિયા,બીજા ફરિયાદી પાસેથી 6.15 લાખ રૂપિયા અને ત્રીજા ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાંધકામ પૂર્ણ ન કર્યું અને પોઝેશન આપ્યું નહોતું અને રકમ પરત કરવાની પણ ના પાડી દીધી હતી, જેના કારણે આ ત્રણેય ગુના નોંધાયા હતા. આરોપીનું નામ મનિષ મહેન્દ્રભાઈ પટેલ (ઉંમર 49 વર્ષ, રહેઠાણઃ સિલ્વરપાર્ક, કરોડીયા રોડ તથા સાઇન પ્લાઝા, નટુભાઈ સર્કલ, રેસકોર્સ, વડોદરા)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:02 pm

પાટણમાં ઉત્તરાયણે 5 હજાર કિલો ઊંધિયું, 1000 કિલો જલેબી વેચાશે:ભાવ વધવા છતાં પતંગ રસિયાઓ જયાફત માણવા તૈયાર

પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિયાઓ ઊંધિયું, જલેબી અને ફાફડાની જયાફત માણશે. આ વર્ષે ઉત્તરાયણના એક જ દિવસમાં અંદાજે 4 થી 5 હજાર કિલો ઊંધિયું અને 1000 કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. જોકે, ઘી અને તેલના ભાવ વધારાને કારણે જલેબીના ભાવમાં કિલો દીઠ ₹20 થી ₹100 સુધીનો વધારો જોવા મળશે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પાટણવાસીઓ લાખો રૂપિયાના ફાફડા, જલેબી અને ઊંધિયું ઝાપટી જશે. આનંદ ગૃહના પ્રણવ રામી અને સુખડિયા સ્વીટ માર્ટના દિલીપભાઈ સુખડિયાએ આ અંદાજ વ્યક્ત કર્યો હતો. ચાલુ વર્ષે ઘીની જલેબીનો ભાવ ₹450 થી ₹650 પ્રતિ કિલો રહેવાની શક્યતા છે, જે ગત વર્ષની સરખામણીમાં ₹60 જેટલો વધારો દર્શાવે છે. જ્યારે તેલની જલેબીનો ભાવ ₹240 થી ₹280 પ્રતિ કિલો રહેશે, જે ગત વર્ષના ₹240 ની સામે ₹20 થી ₹40 નો વધારો સૂચવે છે. ફાફડાનો ભાવ ₹400 થી ₹440 પ્રતિ કિલો અને ઊંધિયાનો ભાવ ₹200 થી ₹400 પ્રતિ કિલો રહેવાનો અંદાજ છે. આ માહિતી વેપારી આનંદ ગૃહના પ્રણવ રામી, સુખડિયા સ્વીટ માર્ટના દિલીપભાઈ સુખડિયા અને મનુભાઈ ઠાકોરે આપી હતી. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને હાલમાં ઊંધિયા માટે શાકભાજી સમારકામ સહિત જલેબી અને ફાફડા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા, જલેબી અને ઊંધિયાના સ્ટોલ ગોઠવાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:58 pm

મહેસાણામાં પતંગબજારમાં મોંઘવારીનો માહોલ:પતંગ-દોરીના ભાવમાં 25% સુધીનો ઉછાળો, છેલ્લી ઘડીએ ખરીદી માટે પતંગરસિયાઓ ઉમટ્યાં

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મહેસાણા શહેરના મુખ્ય રાજમાર્ગો પતંગ-દોરીની હાટડીઓથી ઉભરાઈ રહ્યા છે. શહેરના માર્ગો પર ઠેર-ઠેર પતંગ, ફિરકીઓ, રંગબેરંગી ચશ્માં, ટોપીઓ અને બાળકો માટેના આકર્ષક મુખૌટાઓના સ્ટોલ લાગી ગયા છે. પર્વની અંતિમ ઘડીએ ખરીદી કરવા માટે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોનો બજારમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં થયેલો વધારાને કારણે વેપારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મોટી ઢાલ, ખંભાતી અને લેમન પ્રિન્ટેડ પતંગોનું ખાસ આકર્ષણસ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. પતંગના ભાવમાં અંદાજે 15% જેટલો વધારો થયો છે. ગત વર્ષે જે પતંગની કોડી 100 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ આ વર્ષે 150 રૂપિયા સુધી પહોંચ્યો છે. બજારમાં હાલ વિવિધ વેરાયટી મુજબ પતંગની કોડી 120 રૂપિયાથી શરૂ થઈને 300 રૂપિયા કે તેથી વધુ ભાવે વેચાઈ રહી છે. આ વર્ષે બજારમાં પંજાબી પતંગ, ઝાલરવાળી પતંગ, મોટી ઢાલ, ખંભાતી અને લેમન પ્રિન્ટેડ પતંગોનું ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. પતંગની સાથે દોરીના ભાવમાં પણ 20 થી 25% જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે. મહેસાણાવાસીઓ ઉત્તરાયણની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્તમોંઘવારીના માહોલ હોવાથી પતંગ રસિયાઓના ઉત્સાહમાં થોડી ઓટ દેખાઈ રહી છે, જેના કારણે કેટલાક વેપારીઓ મંદીનો અનુભવ કરી રહ્યા છે. તેમ છતાં, ખાણી-પીણીના બજારમાં તેજીનો માહોલ યથાવત છે. ઉત્તરાયણના દિવસે અગાસી પર આકાશી યુદ્ધની સાથે ઊંધિયું-જલેબી, ચીકી અને કચરીયાની જ્યાફત ઉડાવવા માટે લોકો અત્યારથી જ ફરસાણ માર્ટમાં બુકિંગ કરાવી રહ્યા છે. એકતરફ વધતા ભાવ અને બીજી તરફ પર્વનો આનંદ, આ બંને વચ્ચે મહેસાણાવાસીઓ અત્યારે ઉત્તરાયણની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:55 pm

ઉતરાયણ પૂર્વે બજારમાં ભીડ, ચાઈનીઝ દોરીનો બહિષ્કાર:​જૂનાગઢના આઝાદ ચોકમાં પતંગબજાર ખીલી, 10થી 150 સુધીની વેરાયટી; SPએ ચાઇનીઝ દોરી ન વેંચવા, ખરીદવા અપીલ કરી

​આવતીકાલે ઉતરાયણનો પર્વ છે, ત્યારે નવાબી નગરી જૂનાગઢના બજારોમાં પતંગ-દોરાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. શહેરના આઝાદ ચોક, પોસ્ટ ઓફિસ રોડ સહિતના વિસ્તારોમાં પતંગ રસિયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી સાગર કટારિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે બજારમાં 10થી લઈ 150 સુધીની પતંગો ઉપલબ્ધ છે. ખાસ કરીને ખંભાતની પ્રખ્યાત પતંગોનું આકર્ષણ વધુ છે. તેમણે ઉમેર્યું કે, અમે 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને માત્ર રાજ્યની જ પતંગોનું વેચાણ કરીએ છીએ. આ વર્ષે ભગવાનના ચિત્રો વાળી અને મેટલ ફિનિશ ધરાવતી નાની પતંગો પણ ડિમાન્ડમાં છે. જૂનાગઢના વેપારીઓનો ચાઈનીઝ દોરી ન વેચવાનો મક્કમ નિર્ણય પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂનાગઢના વેપારીઓએ ચાઈનીઝ દોરી ન વેચવાનો મક્કમ નિર્ણય કર્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ગ્રાહકોમાં પણ જાગૃતિ આવી છે અને લોકો ચાઈનીઝ દોરીની માગ ઘટાડી રહ્યા છે. કંપનીઓએ પણ સરકારની ગાઈડલાઈન મુજબ ઈકો-ફ્રેન્ડલી અને સુરક્ષિત દોરા બજારમાં મૂક્યા છે, જે પક્ષીઓ કે માનવીને ગંભીર ઈજા ન પહોંચાડે. કાગળના ભાવમાં વધારો થતા પતંગોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ થોડો ઉછાળો જોવા મળ્યો છે, તેમ છતાં જૂનાગઢના લોકોમાં ઉતરાયણનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાંજ પડતા જ બજારો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે અને પતંગ રસિયાઓ મોડી રાત સુધી ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત​જુનાગઢ SP સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર હોય, જૂનાગઢ શહેરના મુખ્ય બજારોમાં લોકો પતંગ અને દોરાની ખરીદી કરવા આવતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે, કોઈ વેપારી પ્રતિબંધિત દોરીનું વેચાણ ન કરે. પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું જણાય તો પોલીસને જાણ કરવીઅમે જનતાને પણ અપીલ કરીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે, કારણ કે તે પક્ષીઓ અને મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જો કોઈ પણ જગ્યાએ આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે સૌ ઉત્સાહભેર આ તહેવાર ઉજવે તેવી અમારી અપીલ છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:45 pm

પોરબંદર નજીક દરિયામાં ડોલ્ફીનનું ઝૂંડ નજરે પડ્યું:સ્થાનિકો અને માછીમારોમાં ખુશી, કુદરતનું અનોખું દૃશ્ય

પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર ડોલ્ફીનનું ઝૂંડ જોવા મળ્યું છે. પોરબંદર નજીકના ગોસા-ટુકડા ગામના દરિયામાં તાજેતરમાં ડોલ્ફીનનો મોટો સમૂહ નજરે પડ્યો હતો, જેને કારણે સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠે આવેલા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી પોરબંદરથી માધવપુર વચ્ચેના દરિયામાં ડોલ્ફીન વારંવાર દેખાઈ રહી છે. ગોસા ગામ નજીક ડોલ્ફીનનો સમૂહ કૂદકા મારતો અને એકબીજા સાથે રમતો જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઈ સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વીડિયો અને ફોટા કેદ કર્યા હતા. માછીમારો જણાવે છે કે ડોલ્ફીનનું દેખાવું એ દરિયાની સ્વચ્છતા અને સમૃદ્ધ પર્યાવરણનું સૂચક છે. ડોલ્ફીન સામાન્ય રીતે સ્વચ્છ પાણીમાં જ જોવા મળે છે, તેથી તેમનું આવાગમન સમુદ્રી પર્યાવરણ માટે સકારાત્મક સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર દરિયાકાંઠો ડોલ્ફીન જોવા માટે ધીમે ધીમે જાણીતો બની રહ્યો છે. અગાઉ પણ માધવપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક વખત ડોલ્ફીન દેખાઈ હોવાના કિસ્સાઓ નોંધાયા છે. સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓએ આ દૃશ્યને કુદરતની અનોખી ભેટ ગણાવી છે. તેમણે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:21 pm

પાટણમાં ઉત્તરાયણ પૂર્વે બજારમાં ભારે ભીડ:પતંગ-દોરી ઉપરાંત નાસ્તા-પાણી, શેરડી, બોર અને ઊંધિયા બનાવવા માટે શાકભાજીની ખરીદી

પાટણ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે પતંગ અને દોરી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ-દોરી ઉપરાંત નાસ્તા-પાણી માટે શેરડી, બોર અને ઊંધિયા બનાવવા માટે શાકભાજીની પણ ખરીદી કરી હતી. બુધવારે ઉત્તરાયણ હોવાથી જિલ્લાભરના લોકોએ વિવિધ શહેરોમાં પતંગ-દોરીની ખરીદી માટે ભારે ધસારો કર્યો હતો. પાટણ શહેરના ચતુર્ભુજબાગ, હીંગળાચાચર ચોક, બગવાડ, જુનાગંજ અને મેન બજાર જેવા વિસ્તારોમાં પતંગ-દોરી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉત્તરાયણના આગલા દિવસે પતંગ-દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. છૂટક બજાર ના સૂત્રો અનુસાર, ફીરકીમાં રૂ. 50 અને પતંગોમાં કોડીના રૂ. 5 થી 10નો વધારો થયો હતો. બરેલીની રિયાસત, એ.કે. 56 અને પાંડા જેવી બ્રાન્ડની દોરીની માંગ વધુ રહી હતી. પતંગ રસિયાઓમાં ઉત્તરાયણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાનના જાણકારો અનુસાર, ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન રહેશે, જે પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. પવનની અનુકૂળ ગતિની શક્યતાઓને પગલે પતંગ રસિકોમાં આનંદ છવાયો છે અને ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મકરસંક્રાંતિનો તહેવાર સૂર્યની ઉત્તર દિશા તરફ ગતિ શરૂ થવાનો સંકેત આપે છે, જેનાથી દિવસો લાંબા થાય છે. આ પર્વ દાન-પુણ્ય કરવાનો અને જીવનમાં પુણ્ય કમાવવાનો પણ અવસર છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:16 pm

પાટણ જિલ્લામાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન:પક્ષીઓની સારવાર માટે 275 લોકોની ટીમ, 27 કેન્દ્રો કાર્યરત

પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે 20 જાન્યુઆરી, 2026 દરમિયાન ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં પક્ષીઓની સારવાર માટે વન વિભાગના 105 કર્મચારીઓ, 18 પશુ ચિકિત્સા અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના 152 સ્વયંસેવકો મળી કુલ 275 લોકોની ટીમ કાર્યરત રહેશે. જિલ્લામાં 1 કન્ટ્રોલ રૂમ, 11 કલેક્શન સેન્ટર અને 15 સારવાર કેન્દ્રો સહિત કુલ 27 કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને મદદ માટે વન વિભાગ દ્વારા 24*7 હેલ્પલાઇન નંબર 1926 અને કરુણા એમ્બ્યુલન્સ માટે 1962 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પાટણ વન વિભાગના કન્ટ્રોલ રૂમ નંબર 02766-225850 પર પણ સંપર્ક કરી શકાશે. નાગરિકો વોટ્સઅપ નંબર 8320002000 પર 'hi' અથવા 'Karuna' લખીને નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકશે. વીજળી સંબંધિત ફરિયાદો માટે 19121 અથવા 1800 233 155335 ટોલ ફ્રી નંબર કાર્યરત છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ માંઝા, સિન્થેટીક દોરી અને પ્લાસ્ટિકની દોરીના વેચાણ તેમજ વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પ્રતિબંધિત દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા માટે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા તેમજ રહેણાંક વિસ્તારની આસપાસ ભરાયેલી દોરીનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે. ગત વર્ષોના આંકડા મુજબ, પાટણ જિલ્લામાં વર્ષ 2021 થી 2025 દરમિયાન કુલ 745 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 659 પક્ષીઓને બચાવવામાં સફળતા મળી હતી. વર્ષ 2025માં 154 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 80 ટકા પક્ષીઓ જીવંત રહ્યા હતા. આ વર્ષે પણ વધુમાં વધુ પક્ષીઓના જીવ બચાવવા માટે વિવિધ 10 જેટલી સેવાભાવી સંસ્થાઓના સ્વયંસેવકો અભિયાનમાં જોડાયા છે. વધુમાં, જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષી મળે તો તેની આંખો કપડાથી ઢાંકીને તેને કાણાવાળા બોક્સમાં રાખવા અને મોઢામાં પાણી કે ખોરાક ન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:14 pm

ભીલવાડા સર્કલ પાસેથી વિદેશી દારૂ સાથે ત્રણ 3 ઝડપાયા:139 બોટલ અને 11 બિયરના ટીન ગંગાજળિયા પોલીસે જપ્ત કર્યા

ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ પાસે ગત રાત્રીના સમયે ત્રણ થેલાઓ સાથે શંકાસ્પદ રીતે ઉભેલા આનંદનગર અને ચિત્રા વિસ્તારના ત્રણ શખસોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલા થેલાઓની તપાસ કરતા વિદેશી દારૂની કુલ 139 બોટલ તથા 11 બિયરના ટીન મળી આવ્યા હતા. રૂપિયા 26,211નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશી દારૂ સાથે ત્રણ 3 ઝડપાયાઆ અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, ગતરાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ગંગાજળિયા પોલીસ સ્ટાફે શહેરના ભીલવાડા સર્કલ પાસે રિક્ષા સ્ટેન્ડ નજીક થેલાઓ સાથે શંકાસ્પદ રીતે ઉભેલા ત્રણ શખસો કલ્પેશ ઉર્ફે કે.પી પથુભાઈ પ્રજાપતી, ધનજી ઉર્ફે ધનુ લાલજીભાઈ મકવાણા અને બકુલ હર્ષદભાઈ પંડ્યા ભાવનગરના રહેવાસીઓની અટકાયત કરી હતી.ન 139 બોટલ તથા 11 બિયરના ટીન ગંગાજળિયા પોલીસે જપ્ત કર્યાતેમની પાસે રહેલા થેલાઓની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની મોટી જથ્થાબંધ બોટલો મળી આવી હતી, જેમાં લંડનની વ્હિસ્કી 180 એમએલની 42 બોટલ, રીટ્સ રિઝર્વ સુપર ગ્રીન વ્હિસ્કી 180 એમએલની 94 બોટલ, ગોવા સ્પિરિટ વ્હિસ્કી 750 એમએલની 3 બોટલ તેમજ માઉન્ટ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બિયરના 9 ટીનનો સમાવેશ થાય છે. પોલીસે રૂપિયા 26,211નો તમામ મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:12 pm

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે અકસ્માતમાં બેના મોત:તરસાલી ચોકડી પાસે યામાહા FZ-S બાઈક સ્લીપ ખાઈ જતા પાછળ બેઠેલ યુવકે જીવ ગુમાવ્યો, ગોલ્ડન ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગોલ્ડન બ્રિજ નજીક બાઇક સવાર યુવકનું એક અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયું છે. ઘટનાની જાણ થતા હરણી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર તરસાલી બ્રિજ પહેલાં સર્વિસ રોડ પર એક બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકના કાકા વિજયકુમાર ભાઈલાલભાઈ વાળંદ (ઉંમર 50, રહેવાસી મોરલીધર મંદિ ફળિયું, અમલીયારા ગામ, વડોદરા) દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની ફરિયાદ અનુસાર નીમેશકુમાર રજનીકાંતભાઈ વૈધ (ઉંમર 44, રહે. અમલીયારા ગામ, મોરલીધર મંદિર ફળિયું, તા. જિ. વડોદરા)ના મિત્ર લલિતભાઈ અંબાલાલ પરમારે ઘરે આવીને જણાવ્યું હતું કે, નીમેશની બાઇક ગોલ્ડન બ્રિજ ઉતરતા NH-48 પર એક્સિડન્ટ થયો છે. ત્યારબાદ વિજયકુમાર વાળંદ, યોગેશભાઈ વૈધ અને બીપીનભાઈ વૈધ સ્થળે પહોંચ્યા ત્યારે નીમેશ રોડ પર પડેલો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા સાથે શરીર પર અનેક નાની-મોટી ઈજાઓ હતી. આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા વાહનના ચાલકે બેદરકારીપૂર્વક અને ઝડપથી વાહન ચલાવીને મોટરસાયકલને ટક્કર મારી હતી. ટક્કર બાદ અજાણ્યો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જેમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને નીમેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તરસાલી બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ રાજેશભાઈ ઠાકોર અને તેમના મિત્ર શ્યામ યાદવ યામાહા FZ-S મોટરસાયકલ પર ખટંબા ખાતે મિત્રને મળવા ગયા હતા. ત્યારબાદ શંકરપુરા ખાતે કામ પૂર્ણ કરી સાંજના આશરે 7:15 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા. રાજેશભાઈ બાઈક ચલાવતા હતા અને શ્યામ યાદવ પાછળ બેઠા હતા. સાંજના આશરે 7:45 વાગ્યાની આસપાસ તરસાલી બ્રિજ પહેલાં સર્વિસ રોડ પર પહોંચતાં સામેથી એક મોટું વાહન અચાનક દેખાતાં રાજેશભાઈ ગભરાઈ ગયા અને અચાનક બ્રેક મારતાં બાઈક સ્લિપ થઈને પડી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઈને ડાબા ખભા અને ડાબી આંખની ઉપરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. રાહગીરીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શ્યામ યાદવનું મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 3:09 pm