ગાંધીનગરના અડાલજ કેનાલથી ગાંધીનગર મેન રોડ પર આજે ચાલતી કારમાં આગ લાગ્યાની દુર્ઘટના ઘટી હતી. વતન પાટણ જઈ રહેલા રબારી પરિવારની સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. લગ્નના સામાન અને રોકડથી ભરેલી કાર જોતજોતામાં રાખ થઈ ગઈ હતી.જોકે ચાલકની સતર્કતાને કારણે બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડે. સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ચાલુ કારમાં આગ લાગી, બંને લોકો સમયસૂચકા વાપરી નીચે ઉતરી ગયામળતી વિગત મુજબ આજે પાટણના ડેર લીલાપુર ગામના વતની મયુરભાઈ રબારી તેમના કારીગર સાથે સ્વિફ્ટ ગાડી (GJ-24-BC-7343) લઈને વતન જઈ રહ્યા હતા. મયુરભાઈના મોટાભાઈના લગ્ન હોવાથી ગાડીમાં નવા કપડાં, લગ્નની કંકોત્રીઓ અને મોટી માત્રામાં રોકડ રકમ રાખેલી હતી. ત્યારે તેમને અચાનક ચાલુ ગાડીએ પાછળના ભાગેથી જ્વાળાઓ નીકળતી દેખાઈ હતી. ગાડીમાં આગ લાગી હોવાનું જણાતા જ મયુરભાઈએ સમયસૂચકતા વાપરી કારને તુરંત રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી. અને બંને વ્યક્તિઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી માટી નાખી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો લગ્ન માટેનો સામાન અને રોકડ સળગી ગઈપરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કારને લપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ સેક્ટર-17 ફાયર સ્ટેશન દ્વારા સરગાસણ ફાયર સ્ટેશનને મેસેજ આપવામાં આવ્યો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ગાડી અને તેમાં રહેલો લગ્નનો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છેકે મહેશભાઈ મોહનભાઈ રબારીની માલિકીની આ કારમાં લગ્ન માટેની તમામ તૈયારીઓનો સામાન હતો. એક તરફ પરિવારમાં લગ્નનો પ્રસંગ છે ત્યારે બીજી તરફ આ આગમાં પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.
મોડાસાની સરસ્વતી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમ વિભાગ દ્વારા વર્ષ 2026ના સ્વાગત માટે ભવ્ય ડાન્સ અને ફન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. વસુધૈવ કુટુંબ કમના વૈશ્વિક સંદેશને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરીજનોએ ભારતીય એકતાનો અનુભવ કર્યો હતો. આ કાર્યક્રમ હાર્મોની ટુ ગેધર એન્ડ ફન ફૂડ ફેસ્ટિવલ અન્નપૂર્ણાબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કે.જી. થી ધોરણ ૫ સુધીના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને ભારતની વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓને દર્શાવતા ૨૫ જેટલા મનમોહક નૃત્યો રજૂ કર્યા હતા. આ નૃત્યો દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો જીવંત સંદેશ મંચ પર પ્રસ્તુત થયો હતો. આ ઉપરાંત, ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓએ ભારતના વિવિધ રાજ્યોની ઓળખ સમાવતી પરંપરાગત વાનગીઓના ૨૦ જેટલા સ્ટોલ ઊભા કર્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત અને સર્જનાત્મકતાથી સજાવેલા આ ફૂડ સ્ટોલમાં વાલીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓએ ભારતના વિવિધ સ્વાદનો આનંદ માણ્યો હતો. સરસ્વતી વિદ્યાલય વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સહપાઠ્ય પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકે છે, જેથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય. વર્ષ 2026ના સ્વાગત પ્રસંગે યોજાયેલા આ ભવ્ય આયોજનને વાલીઓ અને શહેરીજનોએ ખૂબ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમા કેળવણી મંડળના ઉપપ્રમુખ ડૉ. હરિભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ ચૌધરી, આચાર્ય વિનોદભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોએ કાર્યક્રમની પ્રશંસા કરી અને સફળ આયોજન બદલ ઇંગ્લિશ મિડિયમ વિભાગના આચાર્ય દુર્ગાબેન ઉપાધ્યાય તેમજ જીનલબેન પટેલ અને જીંકલબેન પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃતિ, એકતા અને ઉત્સાહના સંગમ સાથે સરસ્વતી વિદ્યાલયે વર્ષ 2026નું સ્વાગત કરીને શિક્ષણ સાથે ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે કુરંગા વિસ્તારમાં ઘોડીપાસાના જુગાર પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં જામનગર અને દ્વારકા જિલ્લાના કુલ 24 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ₹6.70 લાખની રોકડ રકમ સહિત કુલ ₹19.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, સ્થાનિક ગુના શોધક શાખા (LCB) ના પીઆઈ બી.જે. સરવૈયા અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. LCB ના એએસઆઈ મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. નૂતન વર્ષ પૂર્વે મધ્યરાત્રિના સમયે દ્વારકા તાલુકાના કુરંગા ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસાના જુગારની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે માયા ગોપાલ ધારાણી (કુરંગા), લાખા દલુ ધારાણી (જામનગર), સંજય હરદાસ માતકા (દ્વારકા), સુનિલ કરસન ભાટિયા (જામનગર), સાજણ નાથા મૂન (જામનગર), કચરા ઉર્ફે કિશન લગધીર સંધિયા (જામનગર), પેથા ભીમા મતકા (દ્વારકા), જનક બાબુ પાંડાવદરા (દ્વારકા), જયેશ પ્રવીણ માતંગ (જામનગર), કિશોર ઉર્ફે કિરીટ મનસુખભાઈ ઘુચલા (જામનગર), બાબુ દેવા કનારા (જામનગર), ઉમેશ નાકાભાઈ સુરાણી (સરમત પાટીયા), રાજુ દેવશીભાઈ રવશી (દ્વારકા), પરેશ ઈશ્વરભાઈ મારુ (જામનગર), રાજુ જેવા લઢેર (જામનગર), આસિફ ઉર્ફે ફુલવાલા ઈશા ફુલવાલા (જામનગર), અલ્ફેશ ઈબ્રાહીમ અમરેલીયા (જુનાગઢ), મયુર બુધા ટોયટા (જામનગર), ફારૂક હુશેન ઉડીયા (જામનગર), કલ્પેશ દિલીપ કારીયા (દ્વારકા), અલ્તાફ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા (જામનગર), રફીક નુર મહંમદ નુરમામદ શેખ (જામનગર), હનીફ ગફાર કાસ (જામનગર) અને આદમ હુશેન સંધાર (સરમત) સહિત 24 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ₹6,70,200 રોકડ, ₹96,000 ની કિંમતના 17 મોબાઈલ ફોન, ₹11 લાખની કિંમતની ચાર મોટરકાર અને ₹40,000 ની કિંમતના બે મોટરસાયકલનો સમાવેશ થાય છે. કુલ ₹19,06,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ બી.જે. સરવૈયાના વગપણ હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, વી.એન. શીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પીંડારીયા, કુલદિપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, ગોવિંદભાઈ કરમુર, મુકેશભાઇ કેસરીયા, પીઠાભાઈ ગોજીયા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારનું દુષણ અટકાવવા PCB દ્વારા વર્ષ 2025માં ખૂબ મોટી કામગીરી કરવામાં આવી છે.સાથે સાથે રીઢા ગુનેગારો અને બુટલેગરોને પણ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે જે માટે વર્ષ 2025માં પોલીસ કમિશનરે 1107 રીઢા આરોપીઓને પાસા કરી જુદી–જુદી જેલોમાં રવાના કર્યા છે, જ્યારે 258 માથાભારે તત્વોને અમદાવાદમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. એક વર્ષમાં 407 બુટલેગરો ઝડપાયાપોલીસ કમિશનરના સીધા તાબામાં આવતી પીસીબીની ટીમે વર્ષ દરમ્યાન દારૂના 400 કેસ કરી 407 બુટલેગરોને ઝડપી લીધા છે. જ્યારે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પીસીબીની ટીમે દારૂ અને જુગારનો મળીને કુલ રૂ. 6.57 કરોડનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ ઉપરાંત શરૂ થતા વર્ષ 2026માં પણ ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કમિશનર ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક વર્ષમાં 1107 ગુનેગારો સામે પાસા કરવામાં આવીઅમદાવાદમાં કેટલાક માથાભારે તત્વો માથું ઊંચકીને ફરી સક્રિય બન્યા હતા. તે સમયે પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તેમને પાઠ ભણાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. તમામ પોલીસ મથકોમાં માથાભારે તત્વોની યાદી તૈયાર કરવામાં આવી અને તેમના સામે ફરિયાદ નોંધાય કે તરત જ પાસાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે પણ પાસા અને તડીપાર માટેની ઑન-પેપર કામગીરી વેગવંતી બનાવી હતી. જેના પરિણામે વર્ષ દરમિયાન 1107 ગુનેગારોને પાસા કરવામાં આવ્યા હતા, જ્યારે 258 માથાભારે તત્વોને તડીપાર કરી શકાયા હતા. બીજી તરફ પીસીબી ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજા અને તેમની ટીમે વર્ષ દરમ્યાન પ્રોહિબિશનના 400 કેસ કરી બુટલેગરોની સ્થાનિકT પોલીસ સાથેની ગોઠવણ ખુલ્લી પાડી 407 બુટલેગરોને ઝડપી લીધા છે. વર્ષ દરમ્યાન રૂ. 5.74 કરોડનો દારૂ ઝડપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પીસીબીની ટીમે જુગારના 70 કેસ કરી 245 જુગારીઓને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 83.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દારૂ અને જુગારનો મળીને કુલ રૂ. 6.67 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં વધતા જતા ટ્રાફિક પાર્કિંગ અને એર પોલ્યુશનને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં ખાસ કરીને ટ્રાફિકમાં બ્રિજ પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ વિભાગોના કારણે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને બ્રિજ પ્રોજેક્ટના અધિકારીને નરોડા બ્રિજની કામગીરી મુદ્દે ખખડાવ્યા હતા અને શો- કોઝ નોટિસ ફટકારવાની સૂચના આપી હતી. રોડ ઉપર ક્યાંય પણ ખોદકામ કરવામાં આવે તો આખો રોડ બંધ નહીં કરવો પરંતુ, એક લેન બંધ કરી અને બીજી લેન ટ્રાફિક માટે ચાલુ રાખવી તે પ્રકારે સૂચના આપી હતી. ડિઝાઇન સેલ પાસે લેફટ ટર્ન ફ્રી માટે ડિઝાઇન બનાવવાની સૂચના આપી હતીવર્ષ 2026ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. શહેરમાં પાર્કિંગ, ટ્રાફિક, ગ્રીનરી, એર ક્વોલીટી અને ક્વોલિટી કામ કરવા ઉપર વધુ ભાર મૂક્યો હતો. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ છે, જેને લઈને જંકશન ડેવલોપમેન્ટ કરવા માટેની સૂચના આપી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને દરરોજ એક જંકશન પર લેફ્ટ ટર્ન ખુલે તેના માટેના પ્રયત્ન કરવા જણાવ્યું હતું. ડિઝાઇન સેલ પાસે લેફટ ટર્ન ફ્રી માટે ડિઝાઇન બનાવવાની સૂચના આપી હતી. ટ્રાફિક પોલીસ પાસેથી જેટલા પણ સૂચન મળ્યા છે, તેના ઉપર કામગીરી કરવા જણાવ્યું હતું. શહેરમાં ગ્રીનરી વધારવા માટે પણ કમિશનરે સૂચના આપી હતીશહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે જે પણ બજેટની ફાળવણી કરવાની હોય તે મૂકવા માટે જણાવ્યું હતું અને આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવા કહ્યું હતું. બીજી તરફ શહેરમાં ગ્રીનરી વધારવા માટે થઈને પણ કમિશનરે સૂચના આપી હતી ખાસ કરીને 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે પરંતુ, નાગરિકો અને આ વૃક્ષો દેખાતા નથી. જેથી, રોડની વચ્ચે ડિવાઈડર ઉપર અને જ્યાં પણ રોડ ની આજુબાજુ જગ્યા હોય ત્યાં વૃક્ષો લગાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ ન લગાવી હોય તો એક લાખનો દંડ શહેરમાં વધતા જતા પ્રદૂષણને લઈને એર ક્વોલીટી ઇન્ડેક્સ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે, શહેરમાં અનેક બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ બાંધવામાં આવતી નથી. બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ લગાવાવવામાં એ છે કે કેમ તેના ઉપર તપાસ કરવા માટે કહ્યું હતું અને જો ન લગાવી હોય તો એક લાખ રૂપિયાનો દંડ કરવા માટે કહ્યું હતું. સૂચના આપ્યા બાદ પણ જો ન કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જાતે આવી બાંધકામ સાઈટોને ગ્રીન નેટ લગાવી આપે અને તેનો તમામ ખર્ચો બિલ્ડરો પાસેથી વસૂલવા માટે કહ્યું હતું પરંતુ, પ્રદૂષણ મામલે ક્યાંય પણ બાંધછોડ ન કરવા જણાવ્યું હતું. જો પ્રદૂષણ અત્યારે નહીં રોકો તો તેના માટે તમારા બાળકો ભોગવશે, જેથી એર ક્વોલિટી મામલે સઘન કામગીરી કરવા પણ કમિશનરે કહ્યું હતું. યોગ્ય કામગીરી નહીં કરો તો પગારમાંથી પણ પૈસા કાપી લેવાની ચીમકી કમિશનરે આપી હતીઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તમે કન્સલ્ટન્ટ ઉપર નિર્ભર રહો છો. કોન્ટ્રાક્ટમાં ટેન્ડરની શરત મુજબ કામ કરાવો કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે મુજબ કામગીરી ન કરો જ્યાં પણ કામગીરી ચાલે છે તેમાં ક્વોલિટી કામગીરી કરાવવા માટેની સૂચના આપી હતી. તમામ કામો ક્વોલિટીવાળા હોવા જોઈએ, જો ટેન્ડરની શરત મુજબ કામગીરી ન થાય તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તમામ કામગીરીમાં એક્શન ટેકન રિપોર્ટ મૂકવા માટે પણ કમિશનરે સૂચના આપી હતી. જો રિપોર્ટ નહીં હોય તો ફાઇલમાં સહી નહીં થાય તેમ પણ કહી દીધું હતું. પૂર્વ વિસ્તારમાં કઠવાડા ખાતે બાકી કામગીરી માટે અધિકારીને ખખડાવ્યા હતા. જો યોગ્ય કામગીરી નહીં કરો તો પગારમાંથી પણ પૈસા કાપી લેવાની ચીમકી કમિશનરે આપી હતી.
સાબરકાંઠા જિલ્લાની વિજયનગર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢથી ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને રાણી બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ધનસુરા, મોડાસા ગ્રામ્ય અને તલોદ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. વિજયનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી હરીશભાઈ કાલુરામ પોડોર (રહે. બોસલાટી, પોસ્ટ-ડબાયચા, તા. ખેરવાડા, જિ. ઉદેપુર; હાલ રહે. જોજવા (બરુઠી), તા. બિચ્છીવાડા, જિ. ડુંગરપુર)ને વિજયનગર ત્રણ રસ્તા પરથી બાતમીના આધારે પકડવામાં આવ્યો હતો. હરીશભાઈ પોડોર ધનસુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા નવ માસથી, મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી અને તલોદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો. પોલીસે તેને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ડીટેઈન કર્યો હતો. આગળની કાર્યવાહી માટે આરોપીને ધનસુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
શું તમે જાણો છો કે આજે તમે તમારી કાર કે બાઈકમાં જે પેટ્રોલ પુરાવો છો, તેની કિંમત વધશે કે ઘટશે તેનો રિમોટ કન્ટ્રોલ ગુજરાતથી 3000 કિમી દૂર યમનના નાના એવા બંદર પર પડેલો છે? જો ખાડી દેશોમાં કોઈ હલચલ થાય તો પેટ્રોલનો ભાવ સીધો લિટરી 150 કે 200 થઈ જાય! વિશ્વનો 12 ટકા વેપાર જે રેડ સીથી થાય છે ત્યાં હુથી બળવાખોરો ડેરો નાખીને બેઠા છે અને જહાજો પર બોમ્બ અને મિસાઈલો વરસાવી રહ્યા છે. જેને રોકવા માટે સાથે લડેલા સાઉદી અરેબિયા અને UAE આજે અલગ પડ્યા છે અને મિસાઈલ છોડી રહ્યા છે. ખાડી દેશો વચ્ચે ફાટી નીકળેલું ગૃહયુદ્ધ આપણે સમજવું એટલા માટે જરૂરી બને છે કારણ કે અરબ દેશમાં 89 લાખ જેટલા ભારતીયો નોકરી, ધંધો કે મજૂરી કરી રહ્યા છે. આ જંગ ન રોકાય તો તેની સીધી અસર તમારા અને મારા ખિસ્સા પર પડી શકે છે. તો વિગતે વાત કરીએ હૂથીઓના ડેરો અને UAE-સાઉદીની લડાઈની... નમસ્કાર.... સૌથી પહેલા વિશ્વના નકશાથી સમજીએ કે ઉથલપાથલ ક્યાં સર્જાઈ છે? ગુજરાતથી 3 હજાર કિમી દૂર તેલનો ભંડાર ધરાવતો આ ખાડી વિસ્તાર છે. જ્યાં બે શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા અને UAE છે. હુતીઓ આ રેડસીમાં આતંક મચાવે છે. સાઉદીની નીચે અહીં યમન છે. જેના દક્ષિણ કિનારે મુકાલા બંદર પર સાઉદીએ UAEના જહાજ પર હુમલો કર્યો છે. સામસામે આવેલા દેશો એક સમયે હતા જય-વીરુ વાતની શરૂઆત લાલ સમુદ્ર થી કરીએ. આ એ દરિયો છે જ્યાંથી દુનિયાના મોટા ભાગનો વેપાર પસાર થાય છે. અહીં દાયકાઓથી હૂથી બળવાખોરો ડેરો નાખીને બેઠા છે. ઈરાનના સમર્થનથી ચાલતા આ હૂથીઓએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વખતે જહાજો પર એવા હુમલા કર્યા કે આખી દુનિયા ફફડી ઉઠી. તેમને રોકવા માટે સાઉદી અરેબિયા અને UAE એ 2015માં ખભેખભો મિલાવીને વર્ષો સુધી યુદ્ધ લડ્યું. પરંતુ આજે સ્થિતિ એવી છે કે હૂથીઓ તો ત્યાં જ છે, પણ તેમને હરાવવા નીકળેલા રક્ષકો જ એકબીજાના લોહીના તરસ્યા બન્યા છે. આ કારણે ખાડીમાં થઈ ઉથલપાથલ હમણાની જ વાત કરીએ તો 30 ડિસેમ્બર 2025ની રાત હતી. યમનનું અલ મુકાલા બંદર એકદમ શાંત હતું. UAEના ફુજૈરાહથી આવેલા બે જહાજો ચોરીછૂપીથી હથિયારો ઉતારી રહ્યા હતા. સાઉદીની નજરથી બચવા માટે આ જહાજોની રેડાર ટ્રેકિંગ સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી. આ હથિયારો કોના માટે હતા? એ હતા સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ એટલે કે STC સંગઠન માટે, જે યમનના ટુકડા કરવા માંગતું સંગઠન છે અને UAE તેને ટેકો આપે છે. રિયાધથી ઓર્ડર આવ્યો ‘ઉડાવી દો’ પરંતુ સાઉદીના જાસૂસોની નજર તીક્ષ્ણ હતી. ખબર પડી કે કંઈક તો ગરબડ છે. રિયાધથી આદેશ છૂટ્યો – ‘શિપમેન્ટ ઉડાવી દો’. થોડી જ મિનિટોમાં સાઉદી અરેબિયાના અત્યાધુનિક F-15 ફાઈટર જેટ્સે આકાશમાં ગર્જના કરી અને UAEના હથિયારોના જહાજોને રાખમાં ફેરવી દીધા. આ માત્ર હથિયારોનો નાશ નહોતો, પણ સાઉદી અરેબિયાની UAEને સીધી ચેતવણી હતી કે, 'યમન અમારું આંગણું છે, અહીં અમારી મરજી વગર પાંદડું પણ નહીં હલે.' જય-વીરૂની દોસ્તીમાં તીરાડ કેમ પડી? સાઉદી અરબ અને UAEનો આ દ્વેષ રાતોરાત નથી થયો. 2015માં જ્યારે યમનમાં હૂતીઓએ આતંક મચાવ્યો હતો, ત્યારે સાઉદીના ક્રાઉન પ્રિન્સ MBS અને UAEના રાજા MBZ સગા ભાઈઓ જેવા હતા. તેમણે હુથીઓ ધૂળ ચટાડવા ઓપરેશન ડિસાઈસિવ સ્ટોર્મ શરૂ કર્યું. સાઉદી આકાશમાંથી બોમ્બ ફેંકતું અને UAE જમીન પર સૈનિકો ઉતારતું. સાઉદી-UAEની લડાઈમાં હુથીઓ ફાવ્યા પણ 2019માં ખેલ બદલાયો. UAEને સમજાયું કે હૂતીઓને હરાવવા અશક્ય છે. તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવા અને રૂપિયાનો વેડફાટ રોકવા સેના પાછી ખેંચી લીધી. સાઉદીને લાગ્યું કે મુસીબતના સમયે દોસ્ત (UAE) સાથ છોડી ગયો. UAEએ શાણપણ વાપર્યું, સૈનિકો પાછા બોલાવ્યા પણ STC જેવા સશસ્ત્ર જૂથોને હથિયાર અને આર્થિક મદદ આપવાનું ચાલુ રાખ્યું. જેથી STC સંગઠન યમન સરકાર સામે પણ લડે અને સાઉદી અરેબિયા અને હુથીઓના નાકમાં દમ પણ કરે. આ જ તીરાડ આજે મહાયુદ્ધમાં ફેરવાઈ છે. સમજવા જેવું એ છે કે હૂથી સંગઠન શું છે? અમેરિકા-ઈઝરાયલનું મોત, અલ્લાહ મહાનઃ હુથી સંગઠન હવે હુથી સંગઠન વિશે પણ જાણી લઈએ. યમનમાં હુસૈન અલ હૌથીએ 1990ના દાયકામાં હુથી નામનું સશસ્ત્ર રાજકીય અને ધાર્મિક સંગઠન સ્થાપ્યું હતું. આઈડિયોલોજી શિયા ઈસ્લામિક, એન્ટી અમેરિકન અને એન્ટી ઈઝરાયલી છે. હાલ તેઓ યમનની રાજધાની અને ઉત્તર યમનના મોટા ભાગના વિસ્તારમાં નિયંત્રણ ધરાવે છે. યમનની સરકાર અને સાઉદી અરેબિયાના સાથી દેશો હુથીઓના દુશ્મન છે. તેમને ઈરાનનું સમર્થન છે. ઈઝરાયલ અને હમાસ યુદ્ધ દરમિયાન હુથીઓએ રેડ સીમાંથી પસાર થતાં જહાજો પર હુમલા કર્યા હતા. અને અંતે… દોસ્ત બન્યા દુશ્મન! સાઉદી ઈચ્છે છે કે યમન અખંડ રહે જેથી તેની યમન સાથેની હજારો કિલોમીટરની સરહદ સુરક્ષિત રહે. જેમ રશિયા યુક્રેન બાબતે વિચારે છે. જ્યારે UAE ઈચ્છે છે કે STCના જોરે યમન વિભાજિત થાય અને દક્ષિણ યમનના બંદરો પર તેનું વર્ચસ્વ રહે. આ વર્ચસ્વની લડાઈમાં આજે બે ઈસ્લામિક દેશો આમને-સામને છે. સાઉદીથી આ સહન ન થયું અને… હમણાના સંઘર્ષની શરૂઆત હદ્રામૌત અને અલ મહરા વિસ્તાર માટે થઈ. એસટીસીએ બંને વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી. જે સાઉદીને સહન ન થયું. કારણ કે અહીં જ યમનના તેલ ભંડારો આવેલા છે. જો તેને કંઈ થાય તો સાઉદીના વર્ચસ્વને થપાટ કહેવાય. UAEનો પ્લાન દરિયાના રાજા બનવું UAE કહે છે કે તેઓ આતંકવાદ સામે લડવા હથિયાર મોકલે છે. પણ અલ- મુકાલા બંદરે જે હથિયારો ઉડાવવામાં આવ્યા તેમાં ગન કે બારૂદ નહીં, પણ એન્ટી-શિપ મિસાઈલ્સ હતી! શું આતંકવાદીઓ દરિયામાં જહાજો લઈને ફરે છે? ના. એન્ટી-શિપ મિસાઈલનો ઉપયોગ જમીન પરના આતંકવાદીઓ સામે નહીં, પણ દરિયામાં બીજા દેશના જહાજો ડુબાડવા માટે થાય છે. એટલે કે UAEનો અસલી પ્લાન દરિયાઈ માર્ગો પર કબજો કરવાનો હતો. UAE અને સાઉદીની આર્થિક મોરચે લડાઈ સાઉદી અરેબિયાના MBSનું એક જ સપનું છે 'વિઝન 2030'. આ માટે તેમને તેલના ભાવ 80 ડોલરથી ઉપર જોઈએ છે. બીજી બાજુ, UAE પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારીને વધુ ને વધુ તેલ વેચવા માંગે છે. આજે 1 જાન્યુઆરી 2026 ના રોજ તેલના ભાવ 60 ડોલરની આસપાસ છે. સાઉદી માટે આ આર્થિક મૃત્યુઘંટ સમાન છે. જ્યારે બે મોટા તેલ ઉત્પાદકો અંદરોઅંદર લડે, ત્યારે માર્કેટમાં અસ્થિરતા આવે અને તેનો સીધો ફાયદો ઈરાન અને હૂતીઓને થાય છે. હવે બંને દેશોની તાકાત જોઈએ... સાઉદી-UAEની ડિફેન્સ તુલના આ ધડાકાથી આપણે શું લેવાદેવા? તાકાતમાં સાઉદી ચડિયાતું છે, પણ UAE પણ ઓછું નથી. તમે વિચારતા હશો કે આ બોમ્બ ધડાકાથી આપણને શું? સાઉદી અને UAE સાથે ગુજરાત અને દેશનું કનેક્શન ગુજરાત માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ખાડી દેશોમાં 89 લાખ ભારતીયો વસે છે, જેમાં લાખો ગુજરાતીઓ છે. જો ત્યાં અશાંતિ ફેલાય, તો તેમના પરિવાર અને ત્યાંથી આવતી આવક પર મોટો ફટકો પડશે. ભારત-UAE સંબંધ: UAE આપણું ત્રીજું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. આપણે હવે દિરહામ અને રૂપિયામાં વેપાર કરીએ છીએ અને UPI પણ ત્યાં શરૂ કરવાના છીએ. UAEમાં અબુ ધાબીનું BAPS હિંદુ મંદિર આપણી સાંસ્કૃતિક મિત્રતાનું પ્રતીક છે. ભારત-સાઉદી સંબંધ: સાઉદી ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સ્ત્રોત છે. સાઉદીએ ભારતના મુસ્લીમ ભાઈઓ માટે હજ ક્વોટા વધારીને 2 લાખ કરીને તેણે ભારત સાથેની મૈત્રી મજબૂત કરી છે. ભારત અને ખાડી દેશોનું IMEC Vs ચીનનો BRI રૂટ ભારત માટે સૌથી મોટું જોખમ IMEC એટલે કે ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરીડોર પર છે. વડાપ્રધાન મોદીનો સાઉદી અને UAE સાથે આ ડ્રીમ પ્રોજેક્ટમાં ફાળો છે જેથી ચીનના BRI (બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટીવ)ને ટક્કર આપી શકાય. જો આ બે દેશો યુદ્ધ કરશે, તો ભારતનો આ પ્રોજેક્ટ કાગળ પર જ રહી જશે. સાઉદી અરેબિયા અને UAE બંને ભારતના મિત્રો છે માટે ભારત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં છે. અને છેલ્લે….. આ લડાઈ માત્ર તેલ કે જમીનની નથી, પણ અહંકારની છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બે ભાઈઓ લડે છે, ત્યારે ત્રીજો જ ફાવે છે. અહીં હૂતીઓ અને ઈરાન તે ત્રીજો પક્ષ છે. સવાલ એ છે કે બંને આરબ દેશોની લડાઈમાં દુનિયાનું કેટલું તેલ નીકળી જશે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારીને વૉટ્સએપ પર મેસેજ કરીને દિવ્યા શર્મા નામની યુવતીએ પોતાની ફોરેક્સ ટ્રેડિંગમાં એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. જે બાદ વેપારી સાથે થોડો સમય વાતચીત કરીને ફોરેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કરી સારું કમાવવાની લાલચ આપી હતી. સારા નફાની લાલચ આપીને વેપારી પાસેથી 24.64 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જે બાદ એક પણ રૂપિયાનું પ્રોફીટ આપવામાં આવ્યો નહીં. જેથી વેપારીએ તપાસ કરતા છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિવ્યા શર્મા નામની યુવતીએ ફોન કરી વેપારી પાસે રોકાણ કરાવી ચૂનો લગાવ્યોચાંદખેડા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. જુલાઈ મહિનામાં ટેલીગ્રામ આઇડી અને વ્હોટસએપ નંબર પરથી દિવ્યા શર્મા નામની વ્યક્તિએ વેપારીને મેસેજ કર્યો હતો. ફોરેક્સ ટ્રેડિંગમાં પોતે એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. તેમજ ફોરેક્સ ટ્રેડિંગ કરશો તો સારો પ્રોફિટ કરાવી આપવાની લોભામણી લાલચ વેપારીને આપવામાં આવી હતી. તેમજ પ્રોફિટ મળ્યા બાદ તેમાંથી 50 ટકા નફામાં ભાગ આપવાની વાત પણ કરવામાં આવી હતી. જે બાદ દિવ્યા શર્મા નામની વ્યક્તિએ વેપારી સાથે થોડા દિવસ સુધી વાતચીત કરી નફાની લાલચ આપી રોકાણ કરવા મજબૂર કર્યા હતા. વેપારીએ વિશ્વાસ રાખી શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગ કરવા તૈયારી દર્શાવી હતી. જે બાદ વેપારીને ટેલિગ્રામ આઈડી પર એક લિંક મોકલી તેમાં આઈડી પાસવર્ડ એડ કરાવવામાં આવ્યો હતો. Go Market એપ્લિકેશનમાં પાનકાર્ડ અને આધાર કાર્ડની વિગતો પણ એડ કરાવવામાં આવી હતી. જે બાદ વેપારીઓ પાસે અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો માંગવામાં આવી હતી. જે બાદ વેપારી જ્યારે Go Market માં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા ત્યારે એપ્લિકેશનમાં રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ થયા હોવાનું બતાવવામાં આવતું હતું. પ્રોફિટના રૂપિયા પરત ન કરી છેતરપિંડી આચરીવેપારીએ દિવ્ય શર્મા નામની યુવતી પર વિશ્વાસ રાખી ઓગસ્ટ મહિનામાં 49 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વેપારીએ રોજના 20 ડોલર ટ્રાન્સફર કરાવી 1600 રૂપિયા ડોપિઝિટ કરવામાં આવ્યા હતા. જે બાદ ટ્રેડિંગમાં નફો કરાવવાની લોભામણી લાલચ આપી કુલ 24.64 લાખ રૂપિયાનું શેર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી પ્રોફિટના રૂપિયા દિવ્યા શર્મા નામની યુવતીએ પરત કર્યા નહીં. જેથી વેપારીને શંકા જતા તપાસ કરતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી વેપારીએ 24.64 લાખની છેતરપિંડીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દમણમાં નવા વર્ષના પ્રથમ દિવસે, 1લી જાન્યુઆરીએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 31મી ડિસેમ્બરની ઉજવણી બાદ, બીચ, બજારો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ તરફના પ્રવાસીઓ માટે દમણ હંમેશા લોકપ્રિય સ્થળ રહ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે કંપનીઓ અને ઓફિસોમાં રજા હોવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયા કિનારે પહોંચ્યા હતા. આના કારણે દમણને જોડતા મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ગત રાત્રે 31મી ડિસેમ્બરની ઉજવણી કરીને રોકાયેલા અને આજે નવા આવેલા પ્રવાસીઓથી દમણના મુખ્ય પર્યટન સ્થળો જેવા કે જમ્પોર બીચ, લાઈટ હાઉસ બીચ, મોટી અને નાની દમણનો ફોર્ટ વિસ્તાર, સિફેસ જેટી, સમુદ્ર નારાયણ મંદિર, દેવકા ગાર્ડન, નમો પથ અને રામસેતુ બીચ પર ભીડ જોવા મળી હતી. દરિયા કિનારે રેતીમાં પગ મુકવાની પણ જગ્યા ન હોય તેટલી ભીડ જામી હતી. અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈએ વિવિધ રાઇડ્સ અને વોટર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો હતો. યુવાનોમાં જેટ સ્કીઇંગ, પેરાસેલિંગ અને એટીવી રાઈડ્સ પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. આકાશમાં ઉડતા પેરાશૂટ અને દરિયામાં દોડતી સ્પીડ બોટ્સે વાતાવરણમાં આકર્ષણ ઉમેર્યું હતું. હોટલો અને ખાણીપીણીના સ્ટોલ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. વાપી અને ઉમરગામ તરફથી આવતા પ્રવાસીઓ રિક્ષાઓ અને ટેક્સીઓમાં દમણ બસ ડેપો સુધી પહોંચ્યા હતા, અને ત્યાંથી નાઈટ માર્કેટ તથા સિફેસ જેટી સુધીના રસ્તા પર લોકોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. આટલી વિશાળ જનમેદની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ પોલીસ વિભાગ દ્વારા ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કારણે પ્રવાસીઓ સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી માણી શક્યા હતા. આ સફળ ઉજવણી બાદ, પ્રશાસન આગામી 14મી જાન્યુઆરીએ લાઈટહાઉસ બીચ પર યોજાનારા 'ઇન્ટરનેશનલ બીચ કાઈટ ફેસ્ટિવલ' માટે તૈયારી કરી રહ્યું છે, જ્યાં સ્પાઈડર મેન અને ડોરેમોન જેવા વિશાળ પતંગો આકાશમાં ઉડતા જોવા મળશે.
નડિયાદ ખાતે આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની પૂજા એસ.ચોક્સીએ ગોળાફેંક (શોટપુટ) સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને આગળ લાવવાના હેતુથી આ રાજ્યકક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાંથી વિશેષ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી પૂજાએ કઠિન સ્પર્ધા વચ્ચે ઉત્તમ પ્રદર્શન કરીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂજા એસ. ચોક્સી અગાઉના વર્ષોમાં પણ રાજ્યકક્ષા પર યોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલો મેળવી ચૂકી છે. તેમની આ સતત સફળતા ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત બની છે. પૂજાની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ ભરૂચ જિલ્લાના રમતગમત જગત તેમજ જિલ્લાવાસીઓ દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ પૂજા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ ઉજાગર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર (SVNM) ટ્રસ્ટે આગામી વર્ષે 15,000 જરૂરિયાતમંદ દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવાનો સંકલ્પ લીધો છે. આ લક્ષ્યના ભાગરૂપે, ઓછામાં ઓછી 5,000 સર્જરી માટે ભંડોળ એકત્ર કરવા માટે નવસારીના સુપા ગામે 4 જાન્યુઆરીના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં અંદાજે 8,000 થી 10,000 લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ દ્વારા એકત્રિત થયેલું ભંડોળ સીધું જ ગરીબ દર્દીઓની આંખોની રોશની પાછી લાવવા માટે ઉપયોગમાં લેવાશે. સંસ્થાના હોદ્દેદારોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષથી સુરત ખાતે કાર્યરત આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં 29,554 નિઃશુલ્ક મોતિયાની સર્જરી કરી છે. હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનો અને એડવાન્સ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે. અહીં માત્ર વયસ્કો જ નહીં, પરંતુ એક મહિનાના બાળકની આંખનું ઓપરેશન પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા દરે આંખની તપાસ માટે સંસ્થા દ્વારા મોબાઈલ વાન (ઓપ્ટિકલ વ્હીલ) પણ ચલાવવામાં આવે છે. SVNM ટ્રસ્ટ આગામી સમયમાં 100 વિઝન સેન્ટર શરૂ કરવાની યોજના ધરાવે છે, જે અંતર્ગત પ્રથમ સેન્ટર નવસારીના મરોલી ખાતે કાર્યરત થઈ ચૂક્યું છે. ભારતમાં અંદાજે 1 કરોડ લોકો અંધત્વનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ સંસ્થા છેવાડાના માનવી સુધી પહોંચવા કટિબદ્ધ છે. સંસ્થાના પ્રમુખ ડૉ. ભાવિન જે. પટેલ, ઉપપ્રમુખ ડૉ. ભાવિન ભુવા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી (હાસ્ય કલાકાર), અને વાઘેચના અરવિંદભાઈ પટેલે સમસ્ત જનતાને આ કાર્યમાં સહભાગી થવા અને ડાયરામાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (અમૂલ ડેરી) એ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા ચેરમેન સાભેસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ બોર્ડ બેઠકમાં, દુધાળા પશુઓના જાતિ સુધારણા હેતુસર સેક્સ-સોર્ટેડ સિમેનના ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે નોંધાયેલ દૂધ ઉત્પાદકોને આ ડોઝ માત્ર ₹25 પ્રતિ ડોઝના સહાયરૂપે ઉપલબ્ધ થશે. બોર્ડે સર્વસંમતિથી ભાવ ઘટાડાને મંજૂરી આપીબજારમાં સેક્સ-સોર્ટેડ સિમેનની કિંમત સામાન્ય રીતે ₹1000 થી ₹5000 પ્રતિ ડોઝ હોય છે. આ ખાસ પ્રકારના સિમેન ડોઝ દ્વારા 85 ટકાથી વધુ પાડી-વાછરડીનો જન્મ થાય છે, જે પશુપાલકો માટે આર્થિક રીતે વધુ ફાયદાકારક છે. બોર્ડે સર્વસંમતિથી આ ભાવ ઘટાડાને મંજૂરી આપી છે. 85 ટકાથી વધુ પાડી-વાછરડીના જન્મમાં વધારો થયો ચેરમેન સાભેસિંહ પરમારે જણાવ્યું કે, અમૂલ ફીલ્ડ લેવલે સેક્સ-સોર્ટેડ સિમેનનો ઉપયોગ કરનાર ભારતભરમાં અગ્રણી સંસ્થા છે. તેમણે ઉમેર્યું કે, અમૂલ દૂધ ઉત્પાદકો સાથે નજીકથી કામ કરીને પશુઓની જિનેટિક ગુણવત્તા સુધારી રહ્યું છે અને દૂધ ઉત્પાદન વધારી રહ્યું છે. વર્ષ 2022 થી અત્યાર સુધીમાં, અમૂલે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાં સભાસદોના ઘર આંગણે 10 લાખથી વધુ સેક્સ-સોર્ટેડ સિમેન ડોઝનો ઉપયોગ કર્યો છે, જેના પરિણામે 85 ટકાથી વધુ પાડી-વાછરડીના જન્મમાં વધારો થયો છે અને સ્થાનિક પશુધનમાં ઝડપી જિનેટિક પ્રગતિ નોંધાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદનમાં નોંધપાત્ર વધારોઆ યોજનાના પ્રારંભિક તબક્કામાં, અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને ₹50 પ્રતિ ડોઝે આ સુવિધા પૂરી પાડી હતી. દૂધ ઉત્પાદકોને વધુ સહાય આપવા અને પશુ જાતિની ગુણવત્તા સુધારવા માટે, સંઘે સિમેન સ્ટેશન, ઓડ ખાતે સેક્સ-સોર્ટેડ સિમેન લેબની સ્થાપના કરી છે. આ લેબમાં સારા જિનેટિક ગુણવત્તા ધરાવતા બુલ થકી સેક્સ-સોર્ટેડ સિમેન ડોઝ બનાવવામાં આવે છે, જેના કારણે આધુનિક પ્રજનન ટેક્નોલોજી ખેડૂતો માટે વધુ સસ્તી અને સુલભ બની છે. આ પહેલ અમૂલ ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલા ગાય-ભેંસ માટેની દીર્ઘકાલીન જિનેટિક અપગ્રેડેશન યોજનાનો એક ભાગ છે. છેલ્લા પાંચ વર્ષના આ પ્રયાસોના પરિણામે દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગાંધીનગર જિલ્લાના કલોલની સેશન્સ કોર્ટે સ્ત્રી હત્યાના એક અત્યંત કરપીણ કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. નોંધનીય છેકે,ન્યાયાધીશ બી.આર.રાજપુતે આ ચુકાદાની શરૂઆત જ એક ગહન સંસ્કૃત શ્લોક ન સ્ત્રીવધસમં પાપં ન ચતતત્સ દશાંડ૫૨ઃ તસ્માત તસ્ય વંધે દંડ, કઠોર સમ્પ્રદીપમ થી કરી હતી.જેનો અર્થ સમજાવતા તેમણે નોંધ્યું હતું કે સ્ત્રી હત્યા સમાન અન્ય કોઈ પાપ કે ગુનો નથી. લાકડાના ધોકાથી હુમલો કર્યા બાદ ગળેટૂંપો આપી પ્રેમિકાની હત્યા કરી હતીઆ કેસની વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢનો વતની આરોપી નારાયણસીંગ મખ્ખનસીંગ કુશવાહા રકનપુર ગામે એક કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતો હતો, જ્યાં તેને શોભા ઉર્ફે શોભના નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે શોભનાને અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ હોવાની જાણ થતા અને તે અવારનવાર પૈસાની માંગણી કરતી હોવાથી આરોપીએ અદાવત રાખી હતી. ગત તારીખ 9 જાન્યુઆરી 2022ના રોજ બપોરના સમયે જ્યારે શોભના આરોપીના રૂમ પર ગઈ હતી .ત્યારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આવેશમાં આવીને આરોપીએ પાવડાના તૂટેલા લાકડાના ધોકા વડે શોભનાના માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેનું માથું દિવાલ સાથે અથડાવી નીચે પાડી દીધી હતી. આટલે થી નહીં અટકેલા આરોપીએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા અગાસી પર કપડાં સુકવવાની દોરી કાપી તેના વડે ગળે ટૂંપો આપી તેણીની હત્યા કરી હતી. બંધ રૂમમાંથી હાડપિંજર જેવી લાશ મળી હતીબાદમાં લાશને રૂમમાં પૂરી બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટના કોરોના કાળ દરમિયાન બની હોવાથી લાંબા સમય બાદ જ્યારે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે મરણજનારની લાશ હાડપિંજર જેવી હાલતમાં મળી આવી હતી.સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાનો કેસ કલોલ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ જે.એચ.જોષી દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલની સજાઆ સમગ્ર કેસમાં સૌથી નિર્ણાયક પુરાવો એફ.એસ.એલ. દ્વારા આપવામાં આવેલ ડી.એન.એ. અહેવાલ સાબિત થયો હતો. જેના આધારે કોર્ટે માન્યું હતું કે ફરિયાદ પક્ષ તમામ સાંયોગિક પુરાવાની કડીઓ સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. અંતે આજરોજ અદાલતે આરોપીને આજીવન કેદ એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધીની જેલ અને રૂ. 1 લાખના દંડની સજાનો હુકમ કર્યો છે.
સુરતમાં AAPના યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાથીદાર ચંપત ચૌધરી સામે લિંબાયત વિસ્તારના વેપારીઓને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલવાનો ગુનો નોંધાયો છે. હાલમાં આ મામલે રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સાથે જોડાયેલા અનાજ માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડતા તેઓ દ્વારા ખોટી ફરિયાદ કરી પાર્ટીના કાર્યકર્તાઓને ફસાવવામાં આવ્યાં છે. આ સાથે જ પોલીસ દ્વારા માર મારી બળજબરીથી ચંપત ચૌધરી પાસે કબૂલાત કરાવાઈ હોવાનો પણ આપ શહેર પ્રમુખે આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ આજે સુરત કોર્ટ પરિસરમાં વેપારી-પીડિતોએ શ્રવણ જોશી અને ચંપત ચૌધરી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સૂત્રોચ્ચાર કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને ન્યાયની માગ કરી હતી. યુવા નેતા શ્રવણકુમાર જોશીને બદનામ કરવાની કોશિશઃ ધર્મેશ ભંડેરીઆ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના યુવા નેતા શ્રવણકુમાર જોશીને જે રીતે બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૂળ રાજસ્થાન બ્રહ્મ સમાજનો યુવાન, ટેકસટાઇલના વ્યવસાય સાથે જોડાયેલ, રાષ્ટ્રીય સ્વયંસેવકનો સ્વયંસેવક, રાષ્ટ્રીય વિચારધારાથી સંપન્ન, ભ્રષ્ટાચારીઓ સામે લડાઈ લડતો યુવાન આમ આદમી પાર્ટી સુરતમાં યુવા મોરચા મહામંત્રી તરીકે જવાબદારી સંભાળે છે. ‘શ્રવણે ગોરખધંધા ખુલ્લા પાડી અનાજ માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો’શ્રવણ જોષીનું ફેસબુક પેજ ખોલીને છેલ્લા બે મહિનાની ગતિવિધિ જોઈએ તો પણ ખ્યાલ આવશે કે એમણે અનાજ માફીયાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. ખોટી જગ્યાએ ઊભા રહીને ટ્રાફિક ચલણના નામે મેમો ફાડીને ખોટા ઉઘરાણા કરતા લોકોને ઉઘાડા પાડવાનું કામ કર્યું છે. SMCના લિંબાયત વિસ્તારમાં જ્યાં જ્યાં ગોબાચારી ચાલે છે, એના વિરોધમાં અધિકારીઓને આક્રમકતા સાથે રજૂઆત કરવી, આસપાસ દાદાના મંદિરની આસપાસ ગેરકાયદેસર રીતે ખુલ્લામાં વેચાતા માંસ-મટન, ગૌમાંસની વિરોધમાં સોસાયટીના લોકો સાથે રહી લડાઈ લડવી, દારૂના અડ્ડાઓ ખુલ્લા પાડવા જેવા તમામ ગેરકાયદેસર ગોરખધંધાઓ ઉજાગર કરવાનું કામ કરીને લોકહિતના-લોકજાગૃતિના કાર્યો કરતા આવ્યા છે. ‘સત્તા જવાના ડરે ભાજપના પેટમાં તેલ રેડાયું’લિંબાયત વિસ્તારના લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. લોકોની અંદર રહેલો ડર ધીમે-ધીમે કરતાં દૂર થઈ રહ્યો હોવાથી લોકોનું વલણ આમ આદમી પાર્ટી તરફ સકારાત્મક બની રહ્યુ છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું. જેથી ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોને એમ થયું કે, જો આ હજુ વધુ મજબૂતાઈથી આગળ વધશે તો કાલે અમારી સત્તા ખતરામાં આવી જશે. આને કોઈ પણ સંજોગોમાં રોકવો પડે. લોકોની અંદર રહેલો આપણો ભય અને અમારા કાળા ધંધા ખુલ્લા પડી જશે, જેથી આને રોકવો અત્યંત જરૂરી છે. ‘પોલીસે માર મારી કબૂલાતનો વીડિયો બનાવ્યો’AAP નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત 29 ડિસેમ્બરના રોજ શ્રવણકુમાર જોશી ઉપર લિંબાયતમાં ખોટી ઉપજાવી કાઢેલી ફરિયાદ દાખલ કરવામાં આવી. આજ દિવસે શ્રવણકુમાર જોશીને એની ઓફિસેથી બપોર પછી સાડા ત્રણ વાગ્યાના આસપાસ SOGએ ઉઠાવી લીધો. એમની સાથે સંપત ચૌધરીને પણ ઉઠાવી લઇ SOG ઓફિસે લઈ જવામાં આવ્યા અને એને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેની વાત શ્રવણકુમાર જોશીએ કોર્ટ સમક્ષ કરી ફરિયાદ પણ દાખલ કરી. સાડા ત્રણ વાગ્યે ઉઠાવ્યા બાદ એમને ઢોરમાર મારી ત્યારબાદ એમની પાસે ખોટી રીતે જબરદસ્તીથી સંપત ચૌધરી પાસેથી કબૂલાત કરાવી, એમનો વીડિયો બનાવ્યો. ત્યારબાદ છ વાગે તેમના વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. આ કેવી પોલીસ પદ્ધતિ કે પેલા વ્યક્તિને ઉઠાવી લેવામાં આવે, પછી એને માર મારવામાં આવે. એની પાસેથી જબરદસ્તી કબૂલ કરાવવામાં આવે. વીડિયો બનાવવામાં આવે અને પછી ફરિયાદ દાખલ થાય. ‘સરકારી અનાજને સગે-વગે કરવાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું’AAP નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, આખા ષડયંત્રને સમજો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અનાજ માફિયાઓમાંનો એક વ્યક્તિ જેનું નામ કમલેશ ખટીક છે. 2022માં સચિન ખાતે સરકારી અનાજનું ગોડાઉન હતું, ત્યાંથી સરકારી અનાજને સગે-વગે કરવાનું કૌભાંડ આમ આદમી પાર્ટીએ ખુલ્લું પાડ્યું હતું, જેમાં 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થઈ. 11 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ પકડાઈ ગઈ. આખેઆખી ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે ગઈ. ક્રાઈમ બ્રાન્ચે 11મા વ્યક્તિ એટલે કે કમલેશ ખટીકને રાજસ્થાન ખાતેથી પકડી લીધો, જેથી એ તમામ 11 લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ થઈ હતી. ‘ભાજપનો લાડલો કમલેશ ખટીક જ ફરિયાદી બનેલો છે’ભારતીય જનતા પાર્ટીની રહેમ નજર હેઠળ કમલેશ ખટીકને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો. એને અને એની સાથે તમામે તમામ લોકોને જામીન મળી ગયા, એ જ ભાજપનો લાડલો કમલેશ ખટીક આજે પહેલી ફરિયાદમાં ફરિયાદી બનેલો, જેને લઈને આ આખે આખું ષડયંત્ર કરવામાં આવ્યું. SOGના ડીસીપીએ શ્રવણકુમાર જોશીને જે ઢોર માર માર્યો એની ફરિયાદ પણ શ્રવણકુમાર જોશીએ કોર્ટ સમક્ષ રજૂ કરી, જેનું મેડિકલ એક્ઝામિનેશન પણ થયું. ત્યારબાદ એના રિમાન્ડ નામંજૂર થયા. ત્યારબાદ એમને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા. જેના બીજા દિવસે એક બીજા વ્યક્તિ દ્વારા આ જ કિસ્સામાં આખે આખી ઘટના જે સેમ ટુ સેમ છે, એમાં ફરીથી શ્રવણકુમાર વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ‘AAPના કાર્યકર્તાઓ ડરશે નહિ, પોતાની લડત ચાલુ રાખશે’આખે આખું ષડયંત્ર આપણને સમજમાં આવે છે કે, લિંબાયતની અંદર આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા, લોકોની અંદર આમ આદમી પાર્ટી પ્રત્યે વધી રહેલો સકારાત્મક અભિગમ અને શ્રવણકુમાર જોશી જેવા બીજા નવયુવાન વ્યક્તિ બીજા ઉભા ન થાય અથવા કોઈ ઊભા થઈ રહ્યા છે, તો ઉભા થતા પહેલા જ એને ડામી દેવાના આયોજન સાથે ભારતીય જનતા પાર્ટી આ આખે આખું ષડયંત્ર કરી રહી છે. પણ આમ આદમી પાર્ટી એનાથી ડરવાની નથી, આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓ અત્યાર સુધી જે રીતે અનાજ માફિયાઓ સામે, ભ્રષ્ટાચારીઓ સામે, ભૂમાફિયાઓ સામે લડાઈ લડતા આવ્યા છે, એ જ રીતના આ લડાઈને ચાલુ રાખીશું. ‘હરેશ સાવલિયાને પણ જેલમાં ગુંડાઓ દ્વારા હુમલો કરાયો’AAP નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રવણકુમાર જોશી એકલો નથી, આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ આખે આખી લડાઈ લડી રહી છે. સાથે સાથે આખે આખી ઘટનાને સમજો. આવી જ ઘટના વિસાવદરમાં બની આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશ સાવલિયા ઉપર ખોટી FIR કરી એમને જેલમાં ધકેલવામાં આવ્યા. જેલની અંદર રહેલા ભાજપના ગુંડાઓ દ્વારા એમના ઉપર હુમલો કરાવવામાં આવ્યો. આ ઘટના અને સુરતની ઘટના એ બાબત સૂચવે છે કે, ભારતીય જનતા પાર્ટી ગમે તેમ કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુંડાઓ દ્વારા ડરાવીને, પોલીસ દ્વારા ડરાવીને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘કબૂલાતના વીડિયો કોઈ ઇશારા કરતું સ્પષ્ટ દેખાઈ છે’AAP સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ એક વીડિયો બતાવતા કહ્યું હતું કે, આ આખે આખો વીડિયો જે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જબરદસ્તી કબૂલાત કરવામાં આવી છે. કોઈ ઇશારા કરીને જબરદસ્તી બોલાવડાવતું હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. સંપત ચૌધરી ડરના ઓથા હેઠળ જુબાની આપી રહ્યાં છે તે દ્રશ્યમાન છે. ધર્મેશ ભંડેરીએ બીજો વીડિયો બતાવતા જણાવ્યું હતું કે, જેમાં એવું બતાવવામાં આવ્યું છે. સંપત ચૌધરી કોઈ પાસેથી રૂપિયા લઈ રહ્યો છે, એવું બતાવામાં આવી રહ્યું છે. પણ એકદમ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે માત્ર ષડયંત્ર છે. કોઈ પૈસા માંગવામાં આવ્યા નથી કે નથી કોઈ રૂપિયા આપવામાં આવ્યા. જે રૂપિયા બતાડવામાં આવ્યા એ પણ પરત લઈ લેવામાં આવ્યા હોય તેવું દેખાય આવે છે. સંપત ચૌધરીએ કોઈ રૂપિયા લીધા હોય તેવુ દેખાતું નથી. છેલ્લે એ વીડિયો પણ છે કે, જ્યાં લિંબાયતમાં સામાન્ય લોકો અનાજ માફિયાઓના ત્રાસને ખુલ્લો પાડી રહ્યા છે. સામાન્ય લોકો જ આ અનાજ માફિયાઓથી ત્રાસી ગયા છે. વારંવાર ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ કરે છે, જે બાબતની ફરિયાદ શ્રવણકુમાર જોશીને મળતા તેઓ રેશનિંગની દુકાને ગયા હતા. ‘ખંડણીખોરોને સજા આપો’, પીડિતોએ કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી ન્યાય માંગ્યોકોર્ટ પરિસરમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓએ “ખંડણીખોરોને સજા આપો” અને “ન્યાય જોઈએ”ના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પીડિતોના જણાવ્યા અનુસાર, આરોપીઓ રાજકીય ઓથ હેઠળ લાંબા સમયથી સસ્તા અનાજના વેપારીઓ અને અન્ય નાના વેપારીઓને નિશાન બનાવી રહ્યા હતા. આરોપીઓની ધમકીઓને કારણે સામાન્ય નાગરિકો અત્યાર સુધી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા, પરંતુ હવે તેઓએ એકસૂત્રે થઈને ન્યાયપાલિકા પાસે કડક સજાની અપીલ કરી છે. શું હતો સમગ્ર મામલો?લિંબાયત પોલીસે શ્રવણ જોશી અને તેના સાગરિતની ખંડણીના કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીઓ વેપારીઓની દુકાને જઈને તેમને તાળા મરાવી દેવાની અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરતા હોવાનો આરોપ છે. આ કેસમાં પીડિત વેપારીએ પોલીસને પુરાવા તરીકે વીડિયો પણ આપ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર ષડયંત્ર ભાજપનું હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસના અંતે હકીકત બહાર આવી શકે છે.
હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટર માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે કુલ 21 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જ્યારે 69 ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 11 જાન્યુઆરી, 2026ના રોજ આ ચૂંટણી માટે મતદાન યોજાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી આ બેંક એક મુખ્ય શાખા અને છ બ્રાન્ચ સહિત કુલ સાત શાખાઓ ધરાવે છે. બેંકમાં 65 કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેના 32,876 સભાસદો છે. આગામી પાંચ વર્ષ માટે 10 સામાન્ય, બે મહિલા અને એક SC/ST મળી કુલ 13 ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવશે. ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારીયાએ જણાવ્યું હતું કે, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 3 જાન્યુઆરી, 2026 છે. ગુરુવારથી ઉમેદવારી પત્રો ભરવા અને વિતરણ કરવાનો પ્રારંભ થયો છે, જે સવારે 11 થી સાંજના 4 કલાક દરમિયાન કરી શકાય છે. પ્રથમ દિવસે સામાન્ય બેઠક માટે 49, SC/ST બેઠક માટે 11 અને મહિલા બેઠક માટે 9 મળી કુલ 69 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. જ્યારે સામાન્ય બેઠક માટે 11, SC/ST બેઠક માટે 2 અને મહિલા બેઠક માટે 2 એમ કુલ 21 ફોર્મ ભરાયા હતા.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. એક ઘટનામાં પીકઅપ ડાલાએ અડફેટે લેતા ચાર વર્ષની બાળકીનો જીવ ગયો છે. જ્યારે બીજી ઘટનામાં બાઈક પર જતાં બે સગા ભાઈઓને કારે ટક્કર મારતા એક ભાઈનું મોત થયું હતું. પીકઅપ ડાલાએ અડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોતપહેલી ઘટનામાં મૂળ નેપાળના અને હાલ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની મનિષા તેના પરિવાર સાથે રહેતી હતી. પિતા નોકરી માટે બહાર ગયા હોવાથી મનિષા માતા સાથે હતી. 31 ડિસેમ્બરના રોજ સાંજના સમયે મનિષા તેની માતા સોનાકુમારી અને પાડોશી સાથે શાકભાજી લેવા સૈજપુર ટાવર પાસે ગઈ હતી. શાકભાજી લઈને ઘરે પરત ફરતી વખતે કૃષ્ણનગરના જીડી ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતી હતી. આ દરમિયાન પુરઝડપે આવી રહેલી પીકઅપ ડાલાએ મનિષાને અડફેટે લીધી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને લોકો તરત હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બાઈક સવાર બે ભાઈઓને કારે ટક્કર મારતા એકનું મોતબીજી ઘટનામાં ધોળકામાં રહેતા ગજાનંદભાઈ રાણાના બે પુત્રો સંદિપ (ઉંમર 29) અને રવિ (ઉંમર 22) સિંધુભવન રોડ પર આવેલી કંપનીમાં નોકરી કરે છે. 30 ડિસેમ્બરના રોજ સાંજના સમયે બંને ભાઈઓ નોકરી પૂરી કરીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર વિસલપુર નજીક પહોંચતા જ એક પુરઝડપે આવતી કારએ તેમની બાઇકને ટક્કર મારતા બંને ભાઈઓ રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કારચાલક પણ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન સંદિપનું મોત થયું છે, જ્યારે રવિ હજુ સારવાર હેઠળ છે. આ ઘટનામાં અસલાલી પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
બાલાસિનોરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ:પોલીસે ₹36,000ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસે ટીમ્બા મહોલ્લામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹36,000ની કિંમતના 48 ફીરકા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. પીઆઈ એ.એન. નિનામાએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આ અંગે વોચ રાખવા અને રેઇડ કરવા આદેશ આપ્યો હતો. આ સૂચનાના અનુસંધાને, 01/01/2026ના રોજ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ટીમ્બા મહોલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન પોલીસે મહંમદ વાકીફ મેહબુબમિયા મલેક (રહે. ટીમ્બા મહોલ્લા, બાલાસિનોર) નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આરોપીના ઘરની તપાસ કરતા ઉપરના ભાગે આવેલી એક ઓરડીમાંથી ખાખી રંગના પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ 48 ફીરકા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹36,000 આંકવામાં આવી છે. આ મામલે આરોપી વિરુદ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ-223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નવા વર્ષ 2026ના સ્વાગત માટે ગાંધીનગર સજ્જ થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે તા. 1 જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન જાણીતા કલાકારો નગરજનોને મનોરંજન પૂરું પાડશે. ‘ધ જોગી એક્સપિરિયન્સ’ સૂફી સંગીતની સુરાવલીઓ રેલાવશેઆજે પ્રથમ દિવસે ગાંધીનગરનું પ્રખ્યાત ‘રામસખા મંડળ’ અને ત્યારબાદ સૂફી બેન્ડ ‘ધ જોગી એક્સપિરિયન્સ’ સૂફી સંગીતની સુરાવલીઓ રેલાવશે. જ્યારે આવતીકાલે બીજો દિવસે એટલે કે 2જી જાન્યુઆરીએ લોકગાયક કુશલ ગઢવી લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવશે. ફ્યુઝન મ્યુઝિકથી મહોત્સવનું શાનદાર સમાપન કરાશેઉપરાંત 3 જાન્યુઆરીએ દેશભરમાં જાણીતું ‘નીરજ આર્યાનું કબીર કાફે’ પોતાના ફ્યુઝન મ્યુઝિકથી મહોત્સવનું શાનદાર સમાપન કરાવશે. નગરજનો માટે આ ઉત્સવ ખાસ બની રહે તે માટે બાળકો માટે વિનામૂલ્યે ‘કિડ્સ ઝોન’ બનાવવામાં આવ્યો છે. જેમાં જાયન્ટ સાપસીડી, ટ્રેમ્પોલિન અને બલૂન હાઉસ જેવા આકર્ષણો હશે. મહોત્સવમાં નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્કઆ સાથે જ સ્વાદપ્રિય નાગરિકો માટે વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવમાં નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે આજે પ્રથમ દિવસે અબાલ વૃદ્ધ સૌ કોઈ ઇવેન્ટ સ્થળે પહોંચી ગયા હતા.
મોરબી હળવદ રોડ પર એક જ સ્થળે બે અકસ્માત:કાર-ટ્રક અને બે બાઇક વચ્ચે ટક્કર, વીડિયો વાયરલ
મોરબીના હળવદ રોડ પર આજે એક જ સ્થળે બે અલગ-અલગ અકસ્માત થયા હતા. મહેન્દ્રનગર ગામથી હળવદ તરફ જતા રસ્તા પર શિવાય પેટ્રોલ પંપ સામે ડિવાઈડર કટ પાસે આ ઘટનાઓ બની હતી. આ બંને અકસ્માતો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને તેના વીડિયો વાયરલ થયા છે. પ્રથમ અકસ્માતમાં, ડિવાઈડર કટ પાસે રોડ ક્રોસ કરવા માટે ઉભેલી એક કારને ટ્રકે ટક્કર મારી હતી. આ ટ્રકની પાછળ અન્ય એક ટ્રક અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાના ગણતરીની મિનિટોમાં તે જ ડિવાઈડર કટ પાસે બીજો અકસ્માત થયો હતો. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બીજા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પણ કોઈ ગંભીર ઈજાના સમાચાર નથી. આ બંને અકસ્માતોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટીપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધીયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધીયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ નવનીત બાલધીયાની મદદે કોળી સમાજના આગેવાને અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી. આ મામલે યોગ્ય તપાસ માટે હીરા સોલંકીએ અન્ય કોળી સમાજના ધારાસભ્યોને સાથે રાખી સોમવારે ગાંધીનગર હર્ષ સંઘવીને રજૂઆત કરવાની જાહેરાત કરી છે. નવનીત બાલધીયા સાથે મુલાકાત બાદ હીરા સોલંકીએ કહ્યું હતું કે, હું એવું કરીને જવાનો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે. સાથે કહ્યું હતું કે, આ મામલામાં પોલીસ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ ન કરે. માયાભાઈ આહીરના પુત્ર જયરાજે ષડયંત્ર રચ્યું- નવનીત બાલધીયાબગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધીયાએ આજે હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે. કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલધીયા સાથે મુલાકાત કરીરાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી આજે મહુવાની હનુમંત હોસ્પિટલ પર પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ એકત્ર થયા હતા. હીરા સોલંકીએ નવનીત બાલધીયા સાથે મુલાકાત કરી તમામ મદદની ખાતરી આપી હતી. સોમવારે કોળી સમાજના ધારાસભ્યો હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશેહીર સોલંકીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, આ બાબતે ન્યાયિક તપાસ થાય તે હું અને કોળી સમાજના અન્ય ધારાસભ્યો સોમવારે ગાંધીનગર રજૂઆત માટે જઈશું. વધુમાં હીરા સોંલકીએ કહ્યું હતું કે, હું એવું કરીને જવાનો છું કે, ભવિષ્યમાં કોળી સમાજના લોકો પર કોઈ ચાળો કરે નહીં. પોલીસને પણ નસીયત આપતા કહ્યું હતું કે, ગુનેગારોને બચાવવાનો પ્રયાસ ન કરે. હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્રની સંડોવણીનો ઈન્કારનવનીત બાલધીયા પર આઠ શખસો દ્વારા કરવામાં આવેલા હુમલા મામલે ડીવાયએસપી રીમાબા ઝાલાએ જણાવ્યું હતું કે, નવનીત બાલધીયા રેતી ચોરી અને દારૂના ધંધા અંગે બાતમી આપતા હોય તેનો ખાર રાખી તેના પર હુમલો કરાયો છે. આઠ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે અન્ય સાત આરોપીઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે. માયાભાઈ આહીરના નિવેદન સાથે આ હુમલાનું કનેકશન હોય એવા પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. બગદાણા પીઆઈની તાત્કાલીક અસરથી બદલીરાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ બગદાણાના નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં પોલીસ કામગીરીને લઈ સવાલો ઉઠાવ્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પી.આઈ. ડી.વી. ડાંગરને બદલી કરી લિવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. જ્યારે તેમના સ્થાને મહુવા પીઆઈ કે.એસ.પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ મામલે ભાસ્કરે હાસ્ય કલાકાર માયાભાઈ આહીરનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો નથી.
બોટાદ કલેક્ટરે હડદડ આંગણવાડીની મુલાકાત લીધી:બાળકોના પોષણ, સ્વચ્છતા અને શિક્ષણની સમીક્ષા કરી
બોટાદ જિલ્લાના હડદડ ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રની કલેક્ટર ડો. જીન્સી રોય તથા અધિક નિવાસી કલેક્ટર પી. એલ. ઝણકાત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, આંગણવાડી કેન્દ્ર ખાતે ચાલી રહેલી સેવાઓ, બાળકોના પોષણ, સ્વચ્છતા વ્યવસ્થા તથા શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને મળતાં પોષણયુક્ત આહાર, હાજરી નોંધણી રેકોર્ડ સંભાળ તેમજ માતા અને બાળ કલ્યાણ યોજનાઓના અમલ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, તેમણે કેન્દ્રની સ્વચ્છતા સુવિધાઓ તથા બાળમિત્ર વાતાવરણ વધુ સશક્ત બનાવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. અધિક નિવાસી કલેક્ટરે આંગણવાડી કાર્યકર્તા અને સહાયકાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવા તેમજ લાભાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચાડવા માટે સૂચના આપી હતી. આ મુલાકાતથી આંગણવાડી કેન્દ્રની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું.
ધારપુર ખાતેના 'સખી વન સ્ટોપ સેન્ટર' દ્વારા સાટા પ્રથાનો ભોગ બનેલી એક યુવતીને નવો જીવન માર્ગ મળ્યો છે. ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત આ સેન્ટરના પ્રયાસોથી એક વિખૂટા પડતા પરિવારમાં ફરી ખુશી જોવા મળી છે. આ કામગીરી પાટણ જિલ્લા મહિલા બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. કેસની વિગત મુજબ, યુવતીના લગ્ન તેના ભાઈના લગ્નજીવનના બદલામાં 'સાટા પ્રથા' હેઠળ થયા હતા. લગ્ન બાદ યુવતીના પતિને દારૂની લત હતી, જેના કારણે તે યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આથી યુવતી પિયર આવીને રહેવા લાગી હતી. જોકે, ભાઈ પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા માટે બહેનને ફરી સાસરીમાં જવા દબાણ કરતો હતો અને તેને શારીરિક-માનસિક ત્રાસ પણ આપતો હતો. સતત માનસિક દબાણ અને સંઘર્ષથી કંટાળીને યુવતી જીવન ટૂંકાવવાના વિચારો કરતી હતી. આ સમયગાળા દરમિયાન, તે અન્ય એક યુવક સાથે લાગણીસભર સંબંધમાં જોડાઈ અને 'મૈત્રી કરાર' કર્યા હતા. યુવતીના આ નિર્ણયથી તેના માતા-પિતા હતાશ થયા હતા. બીજી તરફ, યુવકના આ નિર્ણયથી તેની પત્ની અને બાળકોના ભવિષ્ય પર પણ અસર થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, 181 અભયમ હેલ્પલાઇન દ્વારા યુવતીને આશ્રય માટે 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે લાવવામાં આવી હતી. સેન્ટર ખાતે આશ્રય દરમિયાન યુવતીનું સઘન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેને જીવનના વિવિધ પાસાઓ અંગે સમજણ આપવામાં આવી હતી. લાંબી ચર્ચાઓ અને સમજાવટ બાદ યુવતીએ 'મૈત્રી કરાર'નો નિર્ણય બદલી પોતાના માતા-પિતા સાથે રહેવા સંમતિ દર્શાવી. બીજી તરફ, દીકરીની સ્થિતિ સમજીને માતા-પિતાએ પણ સાટા પદ્ધતિથી કરાવેલા લગ્ન રદ કરવાની બાંહેધરી આપી દીકરીને પૂરતો વિશ્વાસ અપાવ્યો. અંતે, પરિવાર ખુશી સાથે પોતાની દીકરીને ઘરે લઈ ગયો અને સેન્ટરની સમયસરની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં છેલ્લા 8 માસથી પાણીની DI પાઇપલાઇન માટે ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. બે દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ કોર્પોરેટર દેવાંગ માંકડ સાથે વિસ્તારની મુલાકાત લઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જોકે, તંત્રની આ ઢીલી કામગીરીનો પુરાવો આજે ત્યારે મળ્યો જ્યારે મનપાનું જ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન ટીપર વાન રોડ પરના ખાડામાં ફસાઈ ગયું હતું. યાજ્ઞિક રોડથી રામકૃષ્ણ ડેરી તરફ જતી શેરીમાં કચરો ભરેલી ટીપરવાન ગાડી પાઇપલાઇનના ખોદકામ બાદ જ્યાં હજુ ડામર કામ બાકી છે તેવા મેટલિંગ વાળા ખાડામાં ઉતરી ગઈ હતી. વાહનના આગળ અને પાછળના ટાયર ખૂંચી જતાં ટીપર વાન એકતરફ નમી પડ્યું હતું, જેને લઈ વાહનચાલકોને ભારે હાડમારી ભોગવવી પડી હતી. નોંધનીય છે કે જૂના અને નવા જાગનાથની 41 શેરીઓમાં ખોદકામ અને ડામર કામ ચાલુ છે, જેમાં ગઈકાલના વરસાદી ઝાપટાએ મુશ્કેલી વધારી છે. તેવામાં મનપાનું જ વાહન ફસાતા અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ માટેનાં રેડીયો પ્રિઝનને 5 વર્ષ પૂરા થતા ભવ્ય ઉજવણી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કેદીઓના માનસિક પરિવર્તન અને રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉમદા આશય સાથે પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, ડો. કે.એલ.એન રાવ દ્વારા તા.31/12/2020ના રોજ રેડીયો પ્રિઝનની શરૂઆત કરવામાં આવેલ. રેડિયો પ્રિઝન રાજકોટને સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ થવા બદલ જેલ પ્રશાસન દ્વારા ભવ્ય ઉજવણીના ભાગરૂપે જેલ પરિસરમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આ રેડિયો પ્રિઝન રાજકોટ જેલના કેદીઓ માટે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય જાગૃતિની સાથે-સાથે જ ભજન-કિર્તન દ્વારા આધ્યાત્મિકતા ફેલાવવાનું સશક્ત માધ્યમ બન્યું છે. આ રેડિયોની વિશેષતા એ છે કે જેલના કેદીઓ જ રેડિયો જોકી (RJ) તરીકેની ભૂમિકા ભજવે છે. કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 3 માં રિચાર્જ બોર બનાવાયો રાજકોટનાં વોર્ડ નં-3 માં રેલનગર વિસ્તારમાં પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ માંથી રિચાર્જ બોર કર્યો હતો. કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, વોર્ડ નં-3 ના કોર્પોરેટરો, વોર્ડ નં-3 ની સંગઠન ટીમ, હિતેશભાઈ રાવલ, અભય નાઢા, જીતુ કુગાશિયા તમામ ટાઉનશીપના પ્રમુખો રહેવાસીઓ, સોસાયટી મેમ્બર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રિચાર્જ બોર બનતા ઉનાળામાં આ વિસ્તારમાં રહેતા લોકોને પાણીની સમસ્યાથી રાહત મળશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF) એ વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ માર્ગદર્શન તથા ડિવિઝન સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહના પ્રભાવી નિરીક્ષણ હેઠળ RPF એ મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે તેમનો વિશ્વાસ જીતવામાં પણ સફળતા મેળવી છે.વર્ષ 2025 (જાન્યુઆરી થી ડિસેમ્બર) ની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે ઓપરેશન અમાનત (પ્રામાણિકતાનું ઉદાહરણ): રેલ મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા સામાનને મુસાફરો સુધી પહોંચાડવામાં RPF એ તત્પરતા દાખવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન ૩૩૯ મુસાફરોનો કુલ ₹40,76,362/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે શોધી કાઢી તેમને સુપરત કરવામાં આવ્યો હતો. ઓપરેશન નન્હે ફરિશ્તે (વિખૂટા પડેલાઓનું પરિવાર સાથે મિલન): સ્ટેશનો અને ટ્રેનોમાં બિનવારસી અથવા પોતાના પરિવારથી વિખૂટા પડેલા 24 બાળકોને RPF એ રેસ્ક્યૂ કર્યા અને સંપૂર્ણ સુરક્ષા સાથે તેમના પરિવારજનો સાથે મિલાવીને તેમના ચહેરા પર સ્મિત પાછું લાવ્યા. ઓપરેશન ડિગ્નિટી : વિપરીત સંજોગોને કારણે પોતાના પરિવારથી દૂર થયેલા 8 વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. ઓપરેશન રેલ સુરક્ષા અને ઉપલબ્ધ : રેલવે સંપત્તિની સુરક્ષા કરતા 30 કેસોમાં 81 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ 13 વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન સમય પાલન : ટ્રેનોની ગતિ ન અટકે તે માટે ગેરકાયદેસર ચેઈન પુલિંગ કરનારા 454 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન યાત્રી સુરક્ષા : મુસાફરોના સામાનની ચોરી અટકાવવા માટે સક્રિય રહીને ૦૭ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જીઆરપી (GRP) ને સોંપવામાં આવ્યા હતા. ઓપરેશન જનજાગૃતિ : RPF એ માત્ર કાર્યવાહી જ નથી કરી, પરંતુ મુસાફરોને જાગૃત પણ કર્યા છે. ગ્રામ સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથેની બેઠકો દ્વારા પથ્થરમારો અટકાવવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી વિરુદ્ધ જન-અભિયાન ચલાવવામાં આવ્યું હતું. RPF રાજકોટ ડિવિઝનની આ સિદ્ધિઓએ સાબિત કરી દીધું છે કે ભારતીય રેલવે માત્ર મુસાફરીનું માધ્યમ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને સેવા માટે પણ સંપૂર્ણપણે સમર્પિત છે.
રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટની એર ફ્રિકવન્સીમાં વધારો થતાં દર માસે હવાઈ યાત્રિકોની સંખ્યામાં ઉમેરો થઈ રહ્યો છે. ગત જુલાઈથી ડિસેમ્બર 2025 ની 6 માસમાં 6 લાખને પાર પહોંચી ગઈ છે. ડિસેમ્બરમા 1.15 લાખ મુસાફરોએ હવાઈ ઉડાન કરી હતી. એરપોર્ટ પરથી દૈનિક 13 ફ્લાઈટ ઉડાન ભરતા 4000 મુસાફરોનું આવાગમન થઈ રહ્યુ છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ડિસેમ્બર માસમાં 59,387 આગમન અને 55,953 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 1,15,340 મુસાફરો નોંધાયા હતા સાથે ડિસેમ્બર માસમાં 351 ફલાઈટ ઉડી હતી જેમાં હવાઈ મુસાફરોએ સફર માણી હતી. ગત નવેમ્બર માસમાં 1,22,510 મુસાફરો નોંધાયો હતો.ગત જન્માષ્ટમી, દિવાળી, નૂતન વર્ષના તહેવારો, નાતાલ પર્વની રજાઓમાં ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દેશ-વિદેશના પ્રવાસીઓ હવાઈ મુસાફરી પસંદ કરતા સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની સેવાનો વ્યાપ વધારતા ડેઈલી 12 થી 13 ફલાઈટના ઉડ્ડયનમાં સરેરાશ 4000 થી વધુ મુસાફરોનું આવાગમન થઈ રહ્યું છે. હિરાસરમાં સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગત ઓકટોબર માસની 25મી તારીખ સુધી દૈનિક 9 થી 10 ફલાઈટ ઉડાન ભરતી હતી પરંતુ તા.26મી ઓકટોબરથી વિન્ટર શિડયુલ અમલી થતા દૈનિક ડેઈલી ફલાઈટની સંખ્યા 13 સુધી પહોંચી જતા હવાઈ સેવાનો વ્યાપ વધતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.રાજકોટના એરપોર્ટમાં હાલ ડેઈલી દિલ્હી-4, મુંબઈ-5, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા, 1-1, પુના સપ્તાહમાં ત્રણ દિવસ ઉડતા સૌરાષ્ટ્રના, ઉદ્યોગકારો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પર્યટકોને હવાઈ સેવા ઉપયોગી નિવડી છે. સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓને વિદેશ જવા કનેકટીંગ ફલાઈટ માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂના, બેંગ્લોર, જવા સરળતા મળી છે.બીજી તરફ દેશ-પરદેશમાંથી આવતા એન.આર.આઈ.પ્રવાસીઓને સૌરાષ્ટ્રના યાત્રાધામ, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ (ગિરનાર), સાસણ સફારી પાર્ક,સત્તાધાર, વિરપુર, કનકાઈ, પોરબંદર, કીર્તિમંદિર, જેવા સ્થળોએ પહોંચવા રાજકોટ એરપોર્ટની હવાઈ સેવા વધુ અનુકુળ રહી હતી. રાજકોટના એરપોર્ટમાં હવાઈ સેવાનો વ્યાપ વધતા રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રભરના વેપાર-ઉદ્યોગ, પર્યટન ક્ષેત્રને નવી દિશા મળી છે. આ સાથે કાર્ગો સેવાથી રાજકોટનાં વેપાર-વાણિજયને પણ મોઢે ફાયદો થઈ રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આંતર રાજય હવાઈ સેવામાં ડેઈલી રાજકોટ-સુરત વેન્ચુરા એર કનેકટનું 9 સીટર વિમાન ઉડી રહ્યું છે. જોકે 2 વર્ષ બાદ પણ હજુ એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ નથી.
દાહોદ જિલ્લામાં ચોમાસુ પાક લણવાની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન આકસ્મિક માવઠું પડતાં અનેક ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાન બાદ પણ ખેડૂતો હિંમત હાર્યા વિના ફરીથી શિયાળુ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર કર્યું છે. પાક સારો થાય તે હેતુથી ખેડૂતોએ પાણીની વ્યવસ્થા કરી, ખાતરનો પૂરતો ઉપયોગ કરવાની તૈયારી પણ કરી હતી. પરંતુ આ સંવેદનશીલ સમયગાળા દરમિયાન ખાતરની અછતનો લાભ લઈ કેટલાક એગ્રો સંચાલકો ખેડૂતોની મજબૂરીનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં એગ્રો સંચાલકો બેફામ બન્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ખેડૂતોને જરૂરી પ્રમાણમાં ખાતર મળતું નથી, એટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા નક્કી કરેલા નિયત ભાવ કરતાં ઘણી વધારે વસૂલાત કરવામાં આવી રહી છે. યુરિયા ખાતરની 45 કિલોની એક બેગનો નિયત ભાવ રૂ. 266.50 હોવા છતાં ખેડૂતો પાસેથી રૂ. 360થી લઈને રૂ. 500 સુધી વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, એગ્રો સેન્ટરોમાં આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ દ્વારા નોંધણી કરીને પણ તેમને એક જ બેગ ખાતર આપવામાં આવે છે, જ્યારે જરૂરિયાત મુજબ વધુ થેલીઓની માંગણી કરવામાં આવે ત્યારે એગ્રો સંચાલકો ટાળટૂળ કરે છે. વધુમાં, ખાતર સાથે ઝીંક જેવી વસ્તુઓ જબરજસ્તી આપવામાં આવી રહી છે, જે ખેડૂતોને જરૂરી ન હોવા છતાં ખરીદવા મજબૂર કરવામાં આવે છે. પરિણામે ખેડૂતોને ડબલ આર્થિક ભાર સહન કરવો પડે છે. માર્ગાળા ગામના ખેડૂત રમેશ વળવાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મેં મારા આધારકાર્ડ પર ચાર થેલી ખાતરની માંગણી કરી હતી કારણ કે મારી જમીનમાં એટલી જ જરૂરિયાત છે. પરંતુ એગ્રો સંચાલકે મને ફક્ત એક જ થેલી આપી. એટલું જ નહીં, ખાતર સાથે ઝીંક પણ જબરજસ્તી આપી અને ખાતર તથા ઝીંક મળીને રૂ. 350 મારી પાસેથી વસૂલ્યા. હવે પાક માટે પૂરતું ખાતર ન મળતાં હું શું કરું તે સમજાતું નથી.” આવી જ ફરિયાદ સુખસર તાલુકાના અન્ય ખેડૂત હિંમત ભાભોરે કરી હતી. તેમણે જણાવ્યું કે, “મારે ત્રણ થેલી ખાતરની જરૂર છે, પરંતુ મને એક જ થેલી આપવામાં આવે છે. ઝીંકની મને કોઈ જરૂર નથી છતાં એગ્રો સંચાલક જબરજસ્તી આપે છે. ખાતરનો ભાવ પણ નિયત કરતાં વધુ લેવામાં આવે છે. અમારી માંગણી છે કે અમને વ્યાજબી ભાવે અને પૂરતા પ્રમાણમાં ખાતર મળે.” સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળે તે હેતુથી યુરિયા ખાતર પર સબસીડી આપવામાં આવે છે, જેથી ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. પરંતુ એગ્રો સંચાલકો પોતાની મનમાની મુજબ ભાવ વસૂલી કરીને ખેડૂતો સાથે ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતોમાં રોષ અને નિરાશા બંને જોવા મળી રહી છે. સુખસરમાં એગ્રો સેન્ટર ચલાવતા દીતા ચરપોટનો દિવ્ય ભાસ્કરે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ ન કરતા તેમનો પક્ષ મળી શક્યો નથી. આ મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારી સી. એમ. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “જો ખેડૂત ફક્ત ખાતર માંગે તો માત્ર ખાતર જ આપવાનું હોય છે. ખાતર સાથે ઝીંક આપવી ફરજિયાત નથી. તેમજ નિયત ભાવ કરતાં વધુ ભાવની વસૂલાત સામે કહ્યું કે, જો ખેડૂતો તરફથી લેખિત રજૂઆત મળશે તો એગ્રો સેન્ટરની મુલાકાત લઈને નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.” ખેડૂતોની માંગ છે કે, તાત્કાલિક અસરથી એગ્રો સેન્ટરોની તપાસ કરવામાં આવે, નિયત ભાવથી વધુ વસૂલાત અટકાવવામાં આવે અને ખાતરની અછત દૂર કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે. નહીં તો શિયાળુ પાક પર તેની ગંભીર અસર પડશે અને અંતે નુકસાન સમગ્ર કૃષિ અર્થતંત્રને સહન કરવું પડશે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ ની પાછળના ભાગે આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર સવારના સમયે દુર્ઘટના બની હતી. સાઈટ ઉપર મજૂરો દ્વારા સેન્ટીંગ પાર્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું. કામગીરી દરમિયાન ત્રણ મજૂરો ઉપરથી નીચે પડતા હતા જેમાં બે મજૂરોનું ઘટના સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોત નોંધી કાર્યવાહી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળ વર્ધમાન ડેવલપર્સની નંદીની બિલ્ડીંગ હેપ્પીનેસ નામની રહેણાંક બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. રહણાંક બાંધકામની આ સ્કીમમાં સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મજૂરો સેન્ટીંગ પાટ બાંધવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાનમાં ચોથા માળે પાલક ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી ત્રણ જેટલા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે એક મજૂરને ગંભીર રીતે ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. બંને મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના છે. મૃતક ના નામ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પ્લાસ્ટર નું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઉપર પાલક બાંધવામાં આવી હતી અને ત્યારે ત્રણેય મજૂર ઉપર ઉભા કામ કરી રહ્યાં હતા અને પાલક તૂટી પડતા નીચે પડ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોને સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા મજૂરો પાસે ફાયર સેફ્ટીના સાધનો સાથે કામગીરી કરાવવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડથી બચવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ સેલના પીઆઇ પ્રવીણ જુડાલ, દેવશી સોલંકી અને તેમની ટીમે ડિજિટલ હેરેસમેન્ટ, સાયબર ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન (PPT) અને બેનરોના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ગોધરા કોલેજના સાયબર સેલ અંતર્ગત ડો. સુરેશ ચૌધરી અને ભાવેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ સેશનમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સેશન દ્વારા સાયબર સુરક્ષા સંબંધિત પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે ડો. ભાવેશભાઈ ચૌધરીએ આભારવિધિ કરી હતી.
અંબાજી મંદિર ખાતે દાંતા રાજવી પરિવારના આસો સુદ આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા કડાણા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં દાંતા રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરાને ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ છે. કડાણાના રાજવી પરિવાર સાથે સંતરામપુરના રાજવી પરિવારે પણ આ રજૂઆતમાં સહભાગી થઈ પરંપરા જાળવી રાખવા વિનંતી કરી હતી. હિંદુ સમાજમાં દાંતા રાજવી પરિવારનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. કોર્ટના આદેશ બાદ નવરાત્રી પૂજા પર રોક લાગતા કડાણા હિંદુ સમાજ દ્વારા પૂજા ફરી શરૂ કરવા માટે આવેદન દ્વારા વિનંતી કરાઈ છે. સંતરામપુરના રાજવી પરાજાદિત્યસિંહજી પરમારે આ અંગે જણાવ્યું હતું કે, અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે, તેનાથી દાંતા મહારાજા સાહેબના અષ્ટમીના હવન કરવાના અધિકાર છીનવાઈ ગયા છે. તેઓ અંબાજીના પ્રધાન સેવક છે અને વર્ષોથી મંદિરની રક્ષા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમનાથી લોકોને કોઈ તકલીફ થતી નથી અને અષ્ટમીના દર્શન ખુલ્લા રહેતા હતા. હવનકુંડ અલગ છે, તેથી તેમને આ અધિકાર પાછા મળવા જોઈએ. અંબાજી મંદિર આસ્થાનું સ્થળ છે અને આવી પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય ન થવું જોઈએ.
જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. જોકે, અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા ત્યારે કારની અંદરનો નજારો જોઈને ચોંકી ગયા હતા, કારણ કે કારમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત એક કાળા કલરની સ્કોર્પિયો કાર દીવ તરફથી પૂરપાટ ઝડપે જૂનાગઢ તરફ જઈ રહી હતી. કેશોદ-વેરાવળ હાઈવે પર અચાનક ચાલકે સ્ટેયરિંગ પર પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર યુવક અને યુવતી રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દારૂની બોટલો અને બિયરના ટીન મળ્યા ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સ્કોર્પિયો કારની અંદરથી દારૂ, બિયરના ટીન મળી આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે કાર ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે અથવા દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત યુવતીને લોહી લુહાણ હાલતમાં કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આ મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. થર્ટી ફર્સ્ટના તહેવારો નજીક છે ત્યારે દીવથી આવતા વાહનોમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ વધતા પોલીસ પણ હવે વધુ સતર્ક બની છે.
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'ના રિલીઝને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે. ફિલ્મે હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે. પરંતુ હવે એક મહિના પછી ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી મળેલા નિર્દેશો બાદ થયા છે. બે શબ્દો મ્યૂટ કરાયા, એક ડાયલોગમાં ફેરફાર કરાયોખરેખરમાં, સૂચના અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મમાં બે શબ્દોને મ્યૂટ કરવા અને એક ડાયલોગમાં ફેરફાર કરવા સૂચના આપી હતી, જેના પછી નવું એડિટેડ વર્ઝન 1 જાન્યુઆરી એટલે કે આજથી વિશ્વભરના થિયેટરોમાં બતાવવામાં આવશે. 'બોલિવૂડ હંગામા' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)એ પોતાના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને લખ્યું, 'દેશભરના સિનેમાઘરોને 31 ડિસેમ્બરે ડિસ્ટ્રીબ્યુટર તરફથી એક ઈ-મેલ મળ્યો, જેમાં તેમને જાણ કરવામાં આવી કે તેઓ ફિલ્મના DCP બદલી રહ્યા છે.' ગુજરાતના બલોચ મકરાણી સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો હતોતાજેતરમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર વિક્રમજનક કમાણી કરી રહેલી બોલિવૂડ ફિલ્મ 'ધુરંધર' વિવાદમાં સપડાઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક ડાયલોગમાં 'બલોચ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની સામે ગુજરાતના બલોચ મકરાણી સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આખરે સમાજની એકતા અને કાનૂની લડાઈનો વિજય થયો છે અને ફિલ્મ નિર્માતાએ ફિલ્મની તમામ પ્રિન્ટમાંથી 'બલોચ' શબ્દ મ્યુટ (Mute) કરવાની સત્તાવાર જાણકારી આપી છે. દિવ્ય ભાસ્કરે પહેલા ઉઠાવ્યો હતો અવાજગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર ખાન બલોચે જણાવ્યું હતું કે, ફિલ્મમાં સમાજની લાગણી દુભાય વા ડાયલોગ સામે સૌપ્રથમ 'દિવ્ય ભાસ્કર' દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરીને આ મુદ્દાને વાંચા આપવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. 10 ડિસેમ્બર, 2025ના રોજ જૂનાગઢ ખાતે સમાજના અગ્રણીઓએ એકઠા થઈને વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું...(સંપૂર્ણ સમાચાર અહીં વાંચો) ફિલ્મ મેકર્સે ફિલ્મમાંથી વાંધાજનક ડાયલોગ હટાવવાની લેખિત ખાતરી આપીબલોચ મકરાણી સમાજ ઓફ ગુજરાતના નેજા હેઠળ એડવોકેટ નબીલ બલોચ (અમદાવાદ), યાસીન ખાન બલોચ (પાટણ) અને એઝાઝ મકરાણી (જૂનાગઢ) દ્વારા ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધીર, એક્ટર સંજય દત્ત અને પ્રોડ્યુસરને કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી. સેન્સર બોર્ડને પણ કડક રજૂઆતો કરવામાં આવી હતી. ફિલ્મ મેકર્સે હવે લેખિતમાં ખાતરી આપી છે કે, ફિલ્મના ડાયલોગમાંથી વાંધાજનક શબ્દ હટાવી લેવામાં આવ્યો છે અને જરૂરી ફેરફાર કરી દેવાયા છે. આ પણ વાંચો: 25 દિવસ બાદ હવે નવું 'ધુરંધર' જોવા મળશે!:સરકારના આદેશ બાદ ફિલ્મમાં ફેરફાર કરાયા; વિશ્વભરમાંથી 1128 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે ફિલ્મ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતોજહાંગીર બલોચે વધુમાં ઉમેર્યું હતું કે, આ વિજય સમાજની એકતા, મીડિયાની જાગૃતિ અને ભારત સરકારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બલોચ સમાજ પ્રત્યેની લાગણીના કારણે શક્ય બન્યો છે. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, કાનૂની કાર્યવાહી અને સામાજિક દબાણના કારણે ફિલ્મ મેકર્સે સ્વેચ્છાએ આ ફેરફાર સ્વીકાર્યા છે. આગામી સમયમાં માનહાનિની કાર્યવાહીની તૈયારીસમાજની એકતાનો વિજય થયો હોવા છતાં અગ્રણીઓનું માનવું છે કે, સમાજની જે બદનક્ષી કરવામાં આવી છે તે બાબતે હજુ પણ કાનૂની લડાઈ ચાલુ રહેશે. સમાજના ત્રણેય એડવોકેટ્સ આગામી સમયમાં માનહાનિ (Defamation) હેઠળની કાર્યવાહી કરવા માટે આયોજન કરી રહ્યા છે. આ આંદોલનમાં જૂનાગઢ જિલ્લા બલોચ સમાજના પ્રમુખ દાદુભાઈ દરબાર (બલોચ) અને અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા ગામના બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અજાણ્યા મૃતદેહ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અજાણ્યો વ્યક્તિ કોણ છે અને કઈ રીતે મૃત્યુ પામ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે. જાંબુવા બ્રિજ પાસે અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યોમળતી માહિતી પ્રમાણે શહેરના જાંબુવા બ્રિજ પાસે એક અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની વાત વિસ્તારમાં ફેલાતા કુતૂહલવશ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને સ્થળ ઉપર પ્રાથમિક તપાસ કર્યા બાદ ફાયર બ્રિગેડની મદદ લઇ લાશ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને લાશ પાસેથી બેગ અને હેલ્મેટ મળ્યુંઆ વ્યક્તિના મૃતદેહ પાસેથી પોલીસને હેલ્મેટ અને બેગ મળી આવી છે. પોલીસે તે કબજે કરી મૃતકની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી છે. મોતનું કારણ જાણી શકાયું નથી. આ રહસ્યમય મોતનો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખૂલશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતાઓને નકારી શકાય તેમ નથી. યુવકનો મૃતદેહ સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યોહાલમાં પોલીસે આ યુવક ક્યાંનો છે, અહીંયા કેમ ગયો અને કયા કારણોસર મૃત્યુ પામ્યો, તેના વાલી વારસ કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખનીજચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડી 13 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને રૂ. 32 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વડા (તા. ઓગડ) ખાતેથી રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતા પાંચ ડમ્પર જપ્ત કરીને થરા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમીરગઢ તાલુકાના ચીકણવાસ ખાતેથી ગેરકાયદેસર ખનન કરતું એક એક્સેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતેથી ગેરકાયદેસર સંગ્રહ સાથે સંકળાયેલ એક લોડર અને બે વાહન સહિત રૂ. 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રૂ. 7 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના નેતૃત્વ હેઠળ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા નવ મહિનામાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 941 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં રૂ. 18 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં જિલ્લામાં રૂ.126 કરોડની મહેસૂલી આવક ઊભી કરવામાં આવી છે.
સાબરકાંઠામાં 2285 સગર્ભાને 19284 પોષણ કીટનું વિતરણ:42 કિલોથી ઓછા વજનવાળી માતાઓ માટે 'લાલન પાલન' હેઠળ
સાબરકાંઠા જિલ્લામાં ગર્ભવતી અને ધાત્રી માતાઓ, કુપોષિત બાળકો તેમજ કિશોરીઓ માટે પોષણ સેવાઓને મજબૂત કરવા કાર્ય ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબૂદી માટે પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું કે, સગર્ભા માતાઓના નિયમિત હેલ્થ ચેકઅપ, રસીકરણ અને પ્રસુતિ સેવાઓ સાથે, 42 કિલોથી ઓછા વજનવાળી માતાઓને પોષણયુક્ત આહાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ માટે, ઓમ એક્ઝિમ કોર્પોરેશન, ઊંઝાના સહયોગથી 'લાલન પાલન' પ્રોજેક્ટ હેઠળ પ્રોટીન પાવડર, આયર્ન સીરપ, ખજૂર અને ચણાની કીટ દર પંદર દિવસે લાભાર્થી માતાઓને આપવામાં આવે છે. એપ્રિલ 2023 થી અત્યાર સુધીમાં, જિલ્લાની 42 કિલોથી ઓછા વજનવાળી 2285 સગર્ભા માતાઓને કુલ 19284 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. નવેમ્બર 2023 થી અત્યાર સુધીમાં, 42 કિલોગ્રામથી ઓછા વજનવાળી 2000થી વધુ સગર્ભા માતાઓને ડાયેટિશિયન દ્વારા પોષણયુક્ત આહાર અંગે કાઉન્સેલિંગ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રયાસોના પરિણામે, જિલ્લાની 80થી વધુ સગર્ભા માતાઓના વજનમાં અને નવજાત શિશુના વજનમાં સુધારો જોવા મળ્યો છે. જેના કારણે માતા મૃત્યુદર, અકાળે પ્રસુતિ, ઓછા વજનવાળા બાળકોના જન્મ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે, પોષણ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ વ્યક્તિની ક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ અત્યંત આવશ્યક છે. યોગ્ય પોષણ વિના બાળકોનું શિક્ષણ, પ્રગતિ અને સપના અધૂરા રહી શકે છે. આ પોષણ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ બાળક પોષણથી વંચિત ન રહે અને દરેક માતા-બહેનને સમયસર યોગ્ય સેવાઓ મળે. અંતે, જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી કે જિલ્લા તંત્ર કુપોષણ નાબૂદી માટે પ્રતિબદ્ધ છે. સરકાર અને જનભાગીદારી દ્વારા કુપોષણ સામેની લડાઈમાં વિજય મેળવી શકાય છે. તેમણે સૌને સ્વસ્થ અને કુપોષણ મુક્ત સાબરકાંઠા બનાવવા સંકલ્પ લેવા હાકલ કરી.
PM મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી 11-12 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. તેઓ રાજકોટમાં રોડ શો કરી વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે..સાથે જ ેતેઓ અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોમાં પણ હાજરી આપી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત બિલીમોરા વચ્ચે દોડશે પહેલી બુલેટ ટ્રેન દેશની પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 એ સુરતથી બિલીમોરા વચ્ચે દોડશે. તો વંદે ભારત સ્લીપરનું 180ની સ્પીડે ચાર પાણી ભરેલા ગ્લાસ મુકી ટેસ્ટિંગ કર્યું . જો કે એકપણ ગ્લાસનું પાણી પણ ના હલ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવા વર્ષે મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા નવા વર્ષે રાજ્યના મંદિરોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર જોવા મળ્યું..સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 31stની રાત્રે 186 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા અમદાવાદમાં 31સ્ટની રાત્રે 186 લોકો દારુ પીધેલી હાલતમાં ઝડપાયા..સાબરમતીની એ. બી. ફોર્ચ્યુન હોટેલમાં ચાલતી દારૂ પાર્ટી પર રેડ પાડવામાં આવી.. તો સૌથી વધુ વટવા પોલીસે પીધેલાને દબોચ્યાં આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 31stની રાત્રે હત્યાના ત્રણ બનાવ બન્યા 31સ્ટની રાત્રે જ્યારે પોલીસ નશેડીઓને પકડવામાં વ્યસ્ત હતી ત્યારે સુરતમાં બે અને જામનગરમાં એક હત્યાનો બનાવ બન્યો.. સુરતના સચિન અને લિંબાયત વિસ્તારમાં ગુટખા ખાવા અને જૂની અદાવતમાં બે હત્યા થઈ જ્યારે જામનગરમાં પૈસાની લેતીદેતી મામલે ટોળાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવા DGPની નિમણૂક બાદ IPS-IASને પ્રમોશનનવા DGPની નિમણૂક બાદ રાજ્યમાં IPS-IASના પ્રમોશન મળ્યા..મોના ખંધાર-ટોપનો સહિત 5ને ACS બનાવાયા તો કોમર સહિત ત્રણ DGP તરીકે પ્રમોટ કરાયા.. કુલ 98 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્રશ્ન બેન્ક લોન્ચ ધો.10, 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા લોન્ચ કરાઈ ડિજિટલ પ્રશ્ન બેન્ક..40 વિષય માટે અનુભવી શિક્ષકોએ 80 પ્રશ્નપત્ર તૈયાર કર્યા.. જે એક જ ક્લિકમાં વિદ્યાર્થીઓને મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યારાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આજે હડતાળ પર ઉતરી ગયા...ઇમરજન્સી સિવાયની સેવાઓ ખોરવાતા દર્દીઓને હાલાકી પડી..ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા હુમલાથી ડોક્ટર્સ રોષમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિરમા-ટાઈડના નામે ડ્રગ્સનું વેચાણ કરાતું હતું સુરત SOGની ટીમે 31સ્ટની રાત્રે ડ્રગ પેડલર ઝડપી પાડ્યો.ઇન્સ્ટાગ્રામ પર કપડાં ધોવાના પાઉડરના નામે ડ્રગ્સનું પડીકું વેચાતું હતું.જેની આ પેડલર ડિલિવરી કરતો હતો, પોલીસે તેની પાસેથી 7 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યુઁ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવા વર્ષની શરુઆતમાં જ પડ્યું માવઠું નવા વર્ષની શરુઆતમાં જ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો. સુરત,નવસારી, ભાવનગર વગેરે જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો. માવઠાને કારણે કેરી અને ચીકુના પાકને નુક્શાનીની શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ઉમરગામ ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું:ધારાસભ્ય રમણ પાટકર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ઉમરગામ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા 1 જાન્યુઆરી, 2026ના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, તાલુકા મામલતદાર દલપતભાઈ અને પુરવઠા અધિકારી હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મણી પટેલે ઉપસ્થિત મહેમાનો અને સભ્યોનું સ્વાગત કર્યું હતું અને દર વર્ષે પહેલી જાન્યુઆરીએ સ્નેહમિલન યોજવાની પરંપરા વિશે માહિતી આપી હતી. વલસાડ જિલ્લા એપીએમસી પ્રમુખ મણીભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે ઉપસ્થિત મહાનુભાવોનું ધ્યાન દોર્યું હતું. તેમણે આ સમસ્યાઓના ઉકેલ માટે સહયોગ આપવા વિનંતી કરી હતી. વલસાડ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરત જાદવે જણાવ્યું હતું કે, સંચાલકો કાળા બજાર કરતા નથી, પરંતુ સરકાર પાસેથી મળતું અનાજ યોગ્ય રીતે વિતરણ કરે છે. તેમણે સંચાલકોને જરૂરિયાતમંદ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળે તે માટે સક્રિય ભૂમિકા ભજવવા પણ અનુરોધ કર્યો હતો. તાલુકા મામલતદાર દલપતે સંચાલકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સૌને નવા વર્ષ 2026ની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ ધારાસભ્ય રમણ પાટકરે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા પારદર્શિતા અને સેવા ભાવથી કરવામાં આવે તે અંગે ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે, સ્નેહમિલનમાં ઉપસ્થિત તમામ સભ્યો અને મહેમાનોએ પ્રીતિભોજનનો લાભ લીધો હતો.
મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ઉત્સાહની સાથે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. દર વર્ષે પતંગના જીવલેણ દોરાને કારણે અનેક ગંભીર અકસ્માતો સર્જાય છે. આ બાબતને ધ્યાને રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા એક સલામતી સૂચના જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં દર વર્ષે પતંગની ઘાતક દોરી એટલે કે માંજાને કારણે ગળા, ચહેરા અને શરીરની મુખ્ય રક્તનાળીઓ પર ગંભીર ઈજાઓ પહોંચવાના કિસ્સાઓ સામે આવે છે. આ જોખમને ટાળવા માટે AMAના પ્રમુખ ડૉ. જીગ્નેશ શાહ અને માનદ સચિવ ડૉ. મૌલિક શેઠે નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને જાહેર કરેલી સૂચના AMAના પ્રમુખ ડૉ. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, જો કોઈને ઈજા થાય, તો નાની ઈજાને પણ અવગણશો નહીં. જો લોહી વહી રહ્યું હોય, તો તે ભાગ પર દબાણ આપવું અને મોડું કર્યા વગર તરત જ નજીક સારવાર સ્થળે પહોંચી જવું.
સ્માર્ટ સિટી રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવવો હવે સામાન્ય નાગરિકો માટે જોખમી બની રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ સામે ફરિયાદ કરવા બદલ નાગરિકને મળતી આ ધમકીએ મનપાના વહીવટી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સમગ્ર મામલે ભોગ બનનારા નાગરિકે મનપા કમિશ્નરને અરજી કરતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અક્ષય કંસારાએ જણાવ્યું પ્રજાપતિ ચોક વિસ્તારમાં રહેતા અક્ષય કંસારા તારીખ 28/12/2025ના રોજ બપોરે 12:00 વાગ્યે પ્રજાપતિ ચોકથી મહિકા ગામે જવા માટે 65 નંબરની RMTS બસની રાહ જોઈ રહ્યા હતા. મનપાની અધિકૃત ‘RRL SATHI’ એપ્લિકેશનમાં બસનો સમય 12:37 નો બતાવતો હોવા છતાં, કલાકો સુધી કોઈ બસ આવી નહોતી. આકરી ગરમીમાં મુસાફરો અને વૃદ્ધોની હાલાકી જોઈને પોતે જવાબદાર નાગરિક તરીકે મનપાના વોટ્સએપ નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેનો ફરિયાદ નંબર 25463118 હતો. આ ફરિયાદના બે દિવસ બાદ, તારીખ 30/12/2025ના રોજ મારા મોબાઈલ પર અજાણ્યા નં 7016207486 પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ અત્યંત ઉદ્ધત અને આક્રમક ભાષામાં ધમકી આપતા કહ્યું હતું કે, તેં ફરિયાદ કેમ કરી? હવે પછી જો ફરિયાદ કરી છે તો તારી ખેર નથી, જોઈ લેજે! આ ધમકીભર્યા ફોનથી તે પોતે અને પરિવાર ફફડાટમાં મૂકાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ફરિયાદ માત્ર મનપાના રેકોર્ડમાં અને સંબંધિત બસના ડ્રાઈવર કે કંડક્ટર અને કોન્ટ્રાક્ટર પાસે હોય, તેની વિગત ત્રીજી વ્યક્તિ પાસે કઈ રીતે પહોંચી? અક્ષય કંસારાએ વધુમાં જણાવ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ અને સુવિધા ન મળે તો ફરિયાદ કરવાનો અમારો અધિકાર છે. જો ફરિયાદ કરવા બદલ અમને આવી રીતે ધમકીઓ મળતી હોય, તો સામાન્ય જનતાએ કોની પાસે ન્યાય માંગવો? આ ઘટના બાદ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાના કોન્ટ્રાક્ટરો હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે? જો મનપા ધારે તો ગણતરીની મિનિટોમાં આ નંબર કોનો છે અને કયા ડેપો કે રૂટ સાથે જોડાયેલો છે તેની તપાસ કરી શકે તેમ છે. ત્યારે આ મામલે જે કોઈ જવાબદાર હોય તેની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી મારી માંગ છે. આ સમગ્ર મામલે મનપામાં સિટિબસ સેવાનો હવાલો સંભાળતા સિટી ઈજનેર પરેશ અઢીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ આવી કોઈ ફરિયાદ મારા સુધી પહોંચી નથી. જો અમને ફરિયાદ મળશે તો મોબાઈલ નંબર ઉપરથી જ ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવશે અને તે જો અમારો કે એજન્સીનો કર્મચારી હશે તો તેને તાત્કાલિક છુટ્ટો કરી દેવામાં આવશે. નાગરિક ઈચ્છે તો આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે છે.
સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એ.સી.બી.ની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં, આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એ.સી.બી.નો સંપર્ક સાધ્યો હતો. પોલીસકર્મીએ હપ્તા પેટે કરી હતી ઉઘરાણીફરિયાદીની વાત સાંભળ્યા બાદ એ.સી.બી. દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે 1 જાન્યુઆરી, 2026ના રોજ આયોજન મુજબ, અંત્રોલી ગામના ભૂરી ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ખાતરી કર્યા બાદ 30,000 રૂપિયા સ્વીકારી ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. નવસારી ACBની ટીમે આરોપીને જેલભેગો કર્યોઆ સફળ ટ્રેપ નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. એ.સી.બી.એ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લાંચિયા અધિકારીઓમાં ફફડાટવડોદરા રેન્જના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ IPSના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે એ.સી.બી.ની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
31મી ડિસેમ્બરની રાત્રિએ વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. સંઘ પ્રદેશમાંથી દારૂનો નશો કરીને વલસાડ જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા 379 વાહનચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ સામે નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ વિશેષ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, વલસાડ જિલ્લા પોલીસની ટીમે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ગોઠવી હતી. આ ચેકપોસ્ટો પર દારૂનો નશો કરીને આવતા વાહનચાલકોને અટકાવવાની અને તેમની તપાસ કરવાની કામગીરી સઘન બનાવવામાં આવી હતી. પોલીસે રાતભર ચાલેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં કેસો નોંધ્યા હતા.
તાપી પોલીસે 5 દિવસમાં 427 લોકો પર કાર્યવાહી કરી:31મી ડિસેમ્બર સુધીમાં 2.60 લાખનો દંડ વસૂલ્યો
તાપી પોલીસે 31મી ડિસેમ્બર સુધીમાં સઘન કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 427 લોકો સામે ગુના નોંધીને ₹2.60 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા તાપી જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન નશીલા પદાર્થોના સેવનને રોકવા માટે પોલીસ એલર્ટ મોડ પર હતી. 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી, પોલીસે 9 અલગ-અલગ ચેકપોસ્ટ ઊભી કરીને વાહન ચેકિંગની કામગીરી કરી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સલીમ શેખે આપેલી માહિતી મુજબ, આ ડ્રાઈવ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ હેઠળ ઓવરસ્પીડિંગના 60 કેસ નોંધાયા હતા. દારૂ પીને વાહન ચલાવવાના 153 કેસ, દેશી દારૂના 112 કેસ, વિદેશી દારૂના 19 કેસ અને દારૂ પીને જાહેરમાં ફરતા 83 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મર્યાદા કરતાં વધુ અવાજ કરતી 10થી વધુ બુલેટ મોટરસાઇકલને પણ ડિટેન કરવામાં આવી હતી. પોલીસે આંતરરાજ્ય અને જિલ્લા સ્તરની ચેકપોસ્ટ પર સઘન કાર્યવાહી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો હતો.
રાજકોટમાં સોની વેપારીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. ચંદ્રેશ રાણપરા (ઉ.વ.32) નામનો યુવાન ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબે યુવકને તપાસતા ઝેરી પ્રવાહી પીધું હોય અથવા ભૂલથી પીવાઈ ગયું હોય તેવી શંકા જતા રીટ્રોગેશન એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી દરમિયાન આજ રોજ સારવારના 6 વાગ્યે ચંદ્રેશનું મોત નીપજ્યું હતું. ચંદ્રેશ પોતે સોની કામ કરે છે અને રાજકોટની સોની બજારમાં તેમની શ્રી નિકુંજ આર્ટ નામે પેઢી આવેલી છે. તેઓ બે ભાઈમાં નાના છે. સોની યુવાન વેપારીના શંકાસ્પદ મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દિકરીની હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો માંગરોળ પોલીસ મથકના હત્યાના ગુનાનો આરોપી અને હાલ રાજકોટ મધ્યસ જેલમાં સજા ભોગવી રહેલા કેદી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે પાકા કામના ફરાર કેદી કિશોરપરી ઉર્ફે ત્રિલોકપરી ગજરાજપરી ગૌસ્વામી (ઉ.વ.59) ને કોઠારીયા રોડ, અરવિંદભાઈ મણીયાર બી-ટાઇપ કવાર્ટર ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં તેમની પુત્રીએ કોઈ યુવક સાથે ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા જે વાતનો ખાર રાખી તેને પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હતી જે ગુના માટે હાલ તે જેલમાં સજા ભોગવી રહ્યો છે. આર્થિક ભીંસથી કંટાળી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત રાજકોટમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ બચુભાઈ પાનસુરીયા (ઉ.વ.53) નામના આધેડ બપોરના 2 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ થતા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિશોરભાઈ પાનસુરીયા બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે કિશોરભાઈ પાનસુરીયા ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હાલમાં ધંધામાં ચાલતી આર્થિક મંદીના કારણે આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેડીપરામાં બેભાન થયા બાદ યુવકનું મોત રાજકોટ શહેરમાં બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં બાલકદાસની જગ્યા નજીક રહેતાં સુનિલભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.35) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર યુવાન છુટક મજૂરી કરતો હોવાનું અને તેને કિડની સહિતની બિમારી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે મોતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની 1500 કરોડના NA કૌભાંડ મામલે ED દ્વારા આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુ. કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. EDએ જ્યારે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં હાજર કર્યો ત્યારે તેના સંબંધીઓ તેને બચાવવા હવાતિયા મારતા જોવા મળ્યા. કોર્ટમાં ઈડીના અધિકારી કરતા ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ વધુ જોવા મળ્યા હતા. ચંદ્રસિંહના બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી હતી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. ઈડીની ટીમે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.જે આજે પૂર્ણ થયા હતા ઈડી તરફથી વધુ રિમાન્ડની માગણી ન કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. તો બીજી તરફ NA કૌભાંડ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક કલેક્ટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે સુરેન્દ્રનગર એસીબીમાં ઇડીએ કેસ દાખલ કર્યો છે જેની તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. કોર્ટમાં હાજર કરતી સમયે ચંદ્રસિંહને બચાવવા સંબંધીઓના હવાતિયાઆજે ચંદ્રસિંહ મોરીને લઈને જ્યારે ઈડીની ટીમ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પહોંચી ત્યારે ઈડીના અધિકારીઓ કરતા તેના સંબંધીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ તેની ઢાલ બનીને આસપાસ ફરતા જોવા મળ્યા હતા. મીડિયાએ જ્યારે ચંદ્રસિંહ મોરીને સવાલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સંબંધીઓએ ચંદ્રસિંહને મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.
દિયોદરના મકડાલામાં શોર્ટ સર્કિટથી ટ્રેલરમાં આગ લાગી:થરાદ ફાયર ટીમે કાબુ મેળવ્યો, જાનહાનિ ટળી
દિયોદર તાલુકાના મકડાલા ગામે શોર્ટ સર્કિટના કારણે ઘાસચારો ભરેલા એક ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આપેલી માહિતી મુજબ, આ ઘટના આજરોજ બની હતી. પંજાબથી ઘાસચારો ભરીને લાવવામાં આવેલું ટ્રેલર મકડાલા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જીવંત વીજવાયરના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટ સર્જાઈ હતી, જેના પરિણામે ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં ટ્રેલરના ટાયર અને અંદર ભરેલો ઘાસચારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ સમયસર કાર્યવાહીને કારણે ટ્રેલરનું એન્જિન અને કેબિન બચાવી લેવામાં આવ્યા હતા. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની કામગીરીથી પરિસ્થિતિ થાળે પડી હતી.
વાપી ઓવરબ્રિજનું કામ અધૂરું, કોંગ્રેસે વિરોધ કર્યો:ઝંડા ચોક પર પિલરને લીંબુ-મરચાં બાંધી પૂજા કરી
વાપીમાં નવા બની રહેલા રેલવે ઓવરબ્રિજના અધૂરા કામને લઈને આજે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી કામ અધૂરું હોવાથી લોકો પરેશાન છે. વાપીના ઝંડા ચોક વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ બ્રિજના અધૂરા પિલરોને લીંબુ-મરચાં બાંધી પૂજા કરી હતી. આ સાથે જ સરકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. વાપી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન શહેરને બે ભાગમાં વહેંચે છે. જૂનો રેલવે ઓવરબ્રિજ જર્જરિત થતાં તેને તોડીને નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ કામ દોઢ વર્ષમાં પૂરું કરવાની મુદત હતી. જોકે, ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં પુલનું કામ હજુ અધૂરું છે, જેના કારણે શહેરના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. પુલની જગ્યાએ રેલવે ફાટક ક્રોસ કરવા માટે લોકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. નોકરી-ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ કલાકો સુધી અટવાય છે. શહેરની મધ્યમાં ચાલી રહેલા આ અધૂરા કામને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. અગાઉ પણ લોકોએ વહેલી તકે પુલનું કામ પૂરું કરવાની માંગ કરી હતી, પરંતુ કામ અધૂરું રહેતા લોકોમાં રોષ છે. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વહેલી તકે પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી ગ કરી હતી.
છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતી રાઠવાએ પાર્ટીના કેટલાક આગેવાનો દ્વારા કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોવા અંગે કાર્યકરોને ટકોર્યા હતા. ધારાસભ્ય રાઠવાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, આપણે જે કાર્યક્રમ રાખતા હોઈએ ત્યારે ઘણી વખત કાર્યક્રમ સારા થાય એમ કરીને સંગઠન સાથે કામ કરતા હોઈએ છીએ, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ન થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય તેવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે. તેમણે આવા ભાવ ન રાખવાની અપીલ કરી હતી. રાઠવાએ આગામી દિવસોમાં છોટા ઉદેપુરમાં યોજાનાર આદિજાતિ મોરચાના સંમેલનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારના કાર્યક્રમની શરૂઆત આપણા જિલ્લામાંથી થવાની છે, ત્યારે કોઈપણ કાર્યકર્તાએ આવો ભાવ ન રાખવો જોઈએ. તેમણે ભાજપને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તાને ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત કરવા અને પડકારોનો સામનો કરવા પૂરી તાકાતથી કામ કરવા હાકલ કરી હતી. પ્રદેશ નેતૃત્વ દ્વારા આદિજાતિ વિસ્તારનો મોટો કાર્યક્રમ છોટા ઉદેપુરમાં આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત, આદિજાતિ વિસ્તારના તમામ ધારાસભ્યોને પણ છોટા ઉદેપુર ખાતે બોલાવવામાં આવશે. ધારાસભ્ય રાઠવાએ સૌ સન્માનનીય હોદ્દેદારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી. પ્રદેશ તરફથી સૂચના મળતા ટૂંક સમયમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે.
ચાવડાપુરા ચર્ચમાં નવા વર્ષની ઉજવણી:વિકાર જનરલ ફાધર ડિસોઝાએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા-જીટોડીયા ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ ધર્મ પ્રાંતના વિકાર જનરલ ફાધર વોલ્ટર ડિસોઝાએ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો. ફાધર ડિસોઝાએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, આપણે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વર્ષ 2026માં ઈસુ ખ્રિસ્તે બતાવેલા સાચા માર્ગે ચાલવું જોઈએ. પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર હોવા છતાં માનવ રૂપ ધારણ કરીને માનવોની વચ્ચે રહ્યા, જે આપણને સાચો માર્ગ બતાવે છે. તેમણે હંમેશા પ્રાર્થના કરતા રહેવા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં પવિત્ર આત્માની પ્રેરણાથી જીવનમાં આગળ વધવા, મનન-ચિંતન કરવા અને ઈશ્વર હંમેશા આપણી સાથે છે તે યાદ રાખવા જણાવ્યું હતું. ફાધર ડિસોઝાએ કહ્યું કે પ્રભુ ઈસુ આપણને સમજ શક્તિ અને શાણપણ આપે છે. વર્ષ 2026માં પ્રવેશ કરતા આપણે સૌ નવા વર્ષમાં સંકલ્પબદ્ધ થઈએ અને પ્રભુ ઈસુએ શીખવેલા પ્રેમ, શાંતિ, ભાઈચારો, માફી અને સાચા માર્ગ ઉપર ચાલીએ તે જ આજના દિવસનો મુખ્ય સંદેશ છે.નવા વર્ષના ખ્રિસ્તયજ્ઞમાં ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મકવાને વર્ષ 2026 બધા માટે આશીર્વાદિત બને તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સમયે ફાધર આરોક, ફાધર વિજય, ફાધર પ્રમોદ સહિત સિસ્ટરો અને મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા. ખ્રિસ્તયજ્ઞ બાદ ધર્મજનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશભરમાં ભારે ઠંડી અને ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ એરપોર્ટ પર સવારે તથા મોડી સાંજે ટેકઓફ અને લેન્ડિંગ કરતી ફ્લાઈટના પાયલોટને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતી હોવાની પાયલોટની ફરિયાદને પગલે ટેકઓફ સમયે ડીલે કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે અમદાવાદથી જતી એક ફ્લાઇટ કેન્સલ અને અમદાવાદ આવતી–જતી કુલ 8 ફ્લાઈટો તેમના નિયત સમય કરતા કલાકો સુધી લેટ પડી હતી. લેટ આવી રહેલી ફ્લાઈટો અમદાવાદથી પણ કલાકો મોડે રવાના થતાં તેમનું શિડ્યૂલ ખોરવાયું હતું. અરાઇવલ ફ્લાઇટ ડિપાર્ચર ફ્લાઇટ
જામનગરમાં મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધ:વાહનચાલકો માંડ બચ્યા, 20 મિનિટ ટ્રાફિક જામ થયો
જામનગર શહેરના એરફોર્સ ટુ મેન રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. રૂપિયાના સિક્કા પાસેના આ વિસ્તારમાં આખલાઓએ રસ્તાને બાનમાં લીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા સ્થાનિક લોકો તેમને છૂટા પાડવા માટે પાણી છાંટી રહ્યા હતા. જોકે, આખલાઓ કોઈ પણ સંજોગોમાં છૂટા પડ્યા ન હતા અને સમગ્ર રસ્તા પર તેમનો કબજો રહ્યો હતો. આ ઘટનાને કારણે વાહનચાલકોને થોડા સમય માટે થંભી જવું પડ્યું હતું. બંને તરફથી રસ્તો બંધ થઈ જતાં લગભગ 20 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે, આખલા યુદ્ધ દરમિયાન કોઈ વાહનચાલક કે રાહદારીને ઈજા થઈ ન હતી. સ્થાનિક લોકોએ લાકડીઓ વડે પણ આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે, લગભગ 20 મિનિટના સંઘર્ષ બાદ આખલાઓ થાકીને છૂટા પડ્યા હતા. આખલાઓ છૂટા પડ્યા બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો અને સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પંચમહાલ જિલ્લામાં 1 જાન્યુઆરી, 2026ના રોજ કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ ગોધરા પહોંચી હતી. ધારાસભ્ય અમિત ચાવડાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રા દરમિયાન સ્થાનિક વેપારીઓએ બસ સ્ટેન્ડના સ્થળાંતર મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. વેપારીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડને શહેર મધ્યથી ખસેડીને ભુરાવાવ લઈ જવાતા આસપાસના 700 જેટલા દુકાનદારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. આ ઉપરાંત, સામાન્ય પ્રજાને રિક્ષા ભાડાના 25-50 રૂપિયાનો વધારાનો બોજ વેઠવો પડે છે. વેપારીઓની રજૂઆત સાંભળી ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર અને સ્થાનિક નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, નગરપાલિકામાં ભાજપની મિલીભગતથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટેક્સ ભરતા વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, પંચમહાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, યુવા પેઢી દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી છે. તેમણે ઉમેર્યું કે આ જન આક્રોશ 2027ની ચૂંટણીમાં પરિવર્તનનો શંખનાદ બનીને રહેશે. ‘પરિવર્તનનો શંખનાદ’ નારા સાથે 11મા દિવસમાં પ્રવેશેલી આ યાત્રા આજે દેલોલથી શરૂ થઈ કુલ 94 કિલોમીટરનું અંતર કાપશે. ગોધરામાં તૃપ્તિ બાયપાસ, ગોંદ્રા સર્કલ, કળશ સર્કલ, સરદારનગર ખંડ અને ગાંધી ચોક ચર્ચ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે પઢીયાર-વેલવડ અને ટીંબા થઈને સાંજે આ યાત્રા બાલાસિનોરના હાંડિયા ચોકડી ખાતે પહોંચી રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ઠેર-ઠેર ખેડૂતો, યુવાનો અને સામાજિક કાર્યકરો સાથે બેઠક કરી હતી.
આણંદમાં ડેન્ગ્યુના કેસોમાં 50% ઘટાડો નોંધાયો:2024ની સરખામણીએ 2025માં રોગચાળા પર નિયંત્રણ મેળવાયું
આણંદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના દિશાનિર્દેશ હેઠળ આણંદ આરોગ્ય વિભાગે સઘન કામગીરી કરી છે, જેના પરિણામે વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, વર્ષ 2024 દરમિયાન ડેન્ગ્યુના 135 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને 70 કેસ થયા છે. આ ઘટાડો લગભગ 50 ટકા જેટલો છે. તેવી જ રીતે, મેલેરિયાના કેસો 17 થી ઘટીને 6 અને ચિકનગુનિયાના કેસો 7 થી ઘટીને 6 પર આવ્યા છે. આ આંકડા જિલ્લા વહીવટી તંત્રના સકારાત્મક પ્રયાસોનું પ્રતિબિંબ પાડે છે. આ કામગીરીની સફળતામાં આરોગ્ય કર્મચારીઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. ડિસેમ્બર 2025 દરમિયાન, આરોગ્ય કર્મચારીઓએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના 4,16,116 ઘરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતો દરમિયાન, 13,71,964 પાત્રોની તપાસ કરવામાં આવી હતી અને 7524 પાત્રોમાં મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. રોગના વાહકોને નિયંત્રિત કરવા માટે 23,552 જેટલા પાત્રોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ઘરે-ઘર સર્વેક્ષણ ઉપરાંત, જનજાગૃતિ અભિયાન દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો (GIDC/ફેક્ટરી), સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને બાંધકામ સાઇટો સહિત 2500 થી વધુ સ્થળોએ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્વ મેલેરિયા દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જેવા કાર્યક્રમો દ્વારા પણ વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેથી નાગરિકો પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવામાં સક્રિય ભાગ લઈ શકે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના નેતૃત્વ હેઠળની આ ટીમના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે. આ કામગીરી તંદુરસ્ત આણંદના નિર્માણ તરફનું એક મહત્ત્વનું પગલું છે અને જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થઈ છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ 1 જાન્યુઆરી, 2026ના રોજ ખલીપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ગ્રામ પંચાયતના સરપંચ, સ્થાનિક પાંજરાપોળના મંત્રી અને ગામના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પોલીસ અધિક્ષક દ્વારા ખલીપુર પાંજરાપોળની પણ મુલાકાત દરમિયાન પાંજરાપોળના ધીરુભાઈ શાહ અને સંજયભાઈ શાહ સહિતના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુલાકાતના અંતે, વી.કે. નાઈએ રામાપીરના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
નડિયાદમાં ભગવતી શાહ સેવા સંકુલ, મોરલીઘર પ્રેસ પ્રાઈવેટ લિમિટેડ તથા તુરખા વરિયા પ્રજાપતિ યુવક કેળવણી મંડળના સંયુકત ઉપક્રમે તારીખ 27ડિસેમ્બર, 2025ને શનિવારના રોજ સવારે 10.30 થી બપોરના1 કલાક દરમિયાન આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકો તેમની પસંદગીના કપડાં (માત્ર નજીવી કિંમત રૂ. 20)ના ભાવે ખરીદી શકે તે માટે 'યુઝડ કલોથ (રિસાઇકલ કપડાં) પ્રદર્શન/વેચાણ' નો કાર્યક્રમ વરિયા પ્રજાપતિ જ્ઞાતિ ભુવનની વાડી, નહેર પાસે ખુબજ સુંદર અને સફળ રીતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમનું ઉદ્ઘાટન મહંત મહાવીરદાસજી બાપુ (શ્રી રામજી મંદિર, સંતરામ મંદિર પાસે, નડિયાદ)ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જયારે સમાજના આગેવાનોમાં સર્વ સંસ્થા પ્રમુખ ભાવેશ એન. દાનાણી, ટ્રસ્ટી વિનોદ એમ. ભીમાણી તથા અશોક એસ. હમીરાણી, ઉપપ્રમુખ રાજેશ આર. ભીમાણી, નડિયાદ નગરપાલિકાના માજી કાઉન્સિલર પ્રકાશ જે. દાનાણી, સિનિયર સિટીઝન પરિવારના પ્રમુખ નરેન્દ્ર કે. ઝાંઝરૂકિયા, માજી પ્રમુખ ઘનશ્યામ ઝેડ. જોટાણીયા, મંત્રી રાજેશ કે. મોજીદ્રા, બગડ ગામ એકતા કેળવણી મંડળના સ્થાપક પ્રમુખ હિંમત એસ. તુરખીયા, સભ્ય મહેશ એન. મોજીદ્રા, મંડળના મંત્રી મહેશ આર. મોજીદ્રા, ભરત એચ. મોજીદ્રા તેમજ સમાજના મહાનુભાવોમાં મનોજ જી. ગોલાણીયા, પ્રવીણ એમ. ભીમાણી, દિલીપ ડી. ભીમાણી, પ્રકાશ પી. સાપરા, નિલેશ એચ. કાપડિયા, સુરેશ જે. મોકાણી, કમલેશ ટી. મુલાણી, સુરેશ આર. પ્રજાપતિ, ભરત ઓ. રામાણી, મંત્રી એન. આર. ચૌહાણ તથા સમાજના સ્નેહી મિત્રો, પરિવારજનો કિંમતી સમય ફાળવીને જરૂરિયાતમંદોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. સમાજ તરફથી સૌનો આભાર વ્યકિત કરવામાં આવ્યો હતો. જયારે આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદોએ મોટી સંખ્યામાં કપડાંની પસંદગી કરી ખરીદયા હતા અને આ ખરીદીમાંથી મોટી રકમ સંસ્થાને પ્રાપ્ત થઈ હતી.
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા પ્રભુપુરા ગામમાં વર્ષ 2023માં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. માત્ર બાઈક ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટની અદાવત રાખીને કુટુંબી પિતરાઈ ભાઈ અને કાકીએ મળીને 40 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જે કેસ ગાંધીનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી. એમ. ઉનડકટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હત્યાના ગુનામાં હત્યારા મા, દીકરાને આજીવન કેદની સજા ફટકારીને નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ પીડિત પરિવારને ન્યાય અપાવ્યો છે. ફળિયામાં બાઈક ધીમી ગતિએ હંકારવા સંજયને ઠપકો આપ્યો હતોગાંધીનગરના પ્રભુપુરા ગામમાં રહેતા 40 વર્ષીય ભરતજી નેનાજી સોલંકીનાં પરિવારમાં વિધવા માતા, પત્ની અને બે નાના સંતાનો છે. ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો ભરત ગત તા. 27 ઓક્ટોબર, 2023ના રોજ પોતાના ફળિયામાં હાજર હતો. એ વખતે અત્રે રહેતો કુટુંબી પિતરાઈ ભાઈ સંજય રતિલાલ સોલંકી બાઈક લઈને પૂરપાટ ઝડપે પસાર થયો હતો. આથી ભરતે ફળિયામાં બાઈક ધીમી ગતિએ હંકારવા માટે સંજયને ઠપકો આપ્યો હતો. જે મામલે બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. એ વખતે તો બધાની દરમિયાનગીરીથી બન્ને પિતરાઈ ભાઈઓ વચ્ચેનો ઝગડો શાંત થઈ ગયો હતો. સંજય અને તેની માતા ઘરે પહોંચી ઝઘડો કરવા લાગ્યાબીજા દિવસે 28 ઓક્ટબરે સવાર પડતાં ભરતે બાઈક ચલાવવા મુદ્દે સંજયનાં પિતાને પણ બોલાવીને ઠપકો આપ્યો હતો. એટલે ફરીવાર શાબ્દિક બોલાચાલી થઈ હતી. બાદમાં બપોરના સમયે ભરત ખાટલામાં ગાઢ નિંદ્રામાં સૂઇ ગયો હતો. જેની પત્ની સહિતના ઘરના સભ્યો ઘરમાં હતા. આ દરમિયાન સંજય અને તેની માતા સૂરતાબેન ઘરે પહોંચી ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. માતાએ દીકરાને 'માર માર' કહીને હત્યા કરવા ઉશ્કેરણી કરીત્યારે એકાએક સંજયે છરીનાં ઘા ભરતને મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં છાતીના અને પેટના ભાગે છરીના ત્રણ જેટલા ઘા સંજયે માર્યા હતા. એટલામાં ભરતની પત્ની દોડીને બહાર આવી હતી, પરંતુ સંજયની માતાએ તારી પણ હત્યા કરી નાખુશી કહીને દીકરાને માર માર કહીને હત્યા કરવા માટે ઉશ્કેરણી કરી હતી. બાદમાં બંને જણા ત્યાંથી ભાગી ગયા હતા. ભરતને લોહી નીતરતી હાલતમાં સિવિલમાં લઈ જવાયો હતોઆ બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. બાદમાં ભરતને લોહી નીતરતી હાલતમાં સિવિલમાં લઈ જવાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે ભરતને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ડભોડા પોલીસ મથકના તત્કાલીન PSI એમ.એસ.રાણાએ મા, દીકરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. મા, દીકરાને આજીવન કેદની સજા અને દંડ ભોગવવાનો હુકમજે કેસ ગાંધીનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી. એમ. ઉનડકટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રીતેશ ડી. વ્યાસે સાક્ષીઓ અને તબીબી પુરાવાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી કે, આરોપી સંજયે અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેમાં ચપ્પુ લિવર સુધી ઉતરી ગયું હતું. તેમણે સમાજમાં આવા કિસ્સાઓ રોકવા માટે દાખલારૂપ સજાની માગ કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે હત્યારા મા, દીકરાને આજીવન કેદની સજા અને દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના પ્રથમ દિવસે જ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી પીડિત પરિવારને ન્યાય અપાવ્યો છે.
એડવોકેટ સતીષ પટેલ બીજીવાર ચૂંટાયા:અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનના કારોબારી સભ્ય બન્યા
એડવોકેટ સતીષ પટેલ અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશન (ACBA) ની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે સતત બીજી વખત ચૂંટાયા છે. આ જીત તેમના કાયદાકીય કાર્ય અને સમર્પણનું પરિણામ માનવામાં આવે છે. એડવોકેટ પટેલનો કાયદાકીય અનુભવ અને ન્યાય પ્રત્યેની નિષ્ઠા વકીલ આલમમાં જાણીતી છે. તેમની આ જીતને વકીલ સમુદાયમાં તેમના પ્રત્યેના વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. તેઓ અમદાવાદ ડેવલપમેન્ટ એન્ડ સિટીઝન્સ વેલ્ફેર ગ્રુપના કાયદાકીય સલાહકાર તરીકે પણ સેવા આપે છે. આ ગ્રુપ અમદાવાદ શહેરના વિકાસ અને નાગરિકોના હિત માટે કાર્યરત છે. સામાજિક મુદ્દાઓ પર પણ તેમની સક્રિય ભૂમિકા રહી છે.
KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર માસ દરમિયાન દત્તક લેવાયેલી શાળાઓમાં વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.આ મહિના દરમિયાન, વિદ્યાર્થીઓના માનસિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ માટે 'આર્ટ ઓફ લિવિંગ' સત્રો યોજાયા હતા. આ સત્રોમાં જીવન મૂલ્યો, ધ્યાન અને સકારાત્મક વિચારધારા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.રમતગમત પ્રત્યે રસ જાગે અને ટીમ ભાવના વિકસે તે હેતુથી 'સ્પોર્ટ્સ ડે'નું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, આનંદ અને એકતાનો સંદેશ આપતા 'ક્રિસમસ ડે'ની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગીત, નૃત્ય અને સંદેશાત્મક કાર્યક્રમો રજૂ કર્યા હતા.વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવા માટે સુમુલ ડેરીની શૈક્ષણિક મુલાકાતનું પણ આયોજન કરાયું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને દૂધ ઉત્પાદન પ્રક્રિયા તેમજ સહકારી સંસ્થાના કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આમ, ડિસેમ્બર મહિનો વિદ્યાર્થીઓ માટે આનંદદાયક, પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થયો. આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું.
દીવાન-બલ્લુભાઈ શાળામાં 'રેડ ડે'ની ઉજવણી:બાળકો લાલ વસ્ત્રોમાં સજ્જ, નાતાલની સમજ અપાઈ
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં 'રેડ ડે'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં બાળકો લાલ રંગનાં વસ્ત્રોમાં સજ્જ થઈને શાળાએ આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ ભૂમિકાબહેને નાતાલના તહેવાર વિશે બાળકોને સમજ આપી હતી. નર્સરી, શિશુવર્ગ અને બાળવર્ગના બાળકોએ સાંતાક્લોઝના પરિધાનમાં સુંદર નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. કેમ્પસ કો-ઓર્ડીનેટર પાયલબહેન ઠાકોરે 'રેડ ડે' અને નાતાલની ઉજવણી નિમિત્તે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂમિકાબહેન મહેતા અને શ્રી રૂચિતાબહેન શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, ટ્રસ્ટના કો-ઓર્ડીનેટર તાનીબહેન લાખિયા અને પીનલબહેન રાવળે સુંદર આયોજન બદલ શિક્ષકોને ધન્યવાદ પાઠવ્યા હતા.
કાંકરિયા સ્થિત દિવાન બલ્લુભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન, દિવાન બલ્લુભાઈ આલમની એસોસિએશન દ્વારા આયોજિત આલમની રાત્રિ ક્રિકેટ મેચ 2026નો પ્રારંભ 1 જાન્યુઆરી, 2026થી થશે. શાળાના પટાંગણમાં રમાનારી આ સ્પર્ધાનો આ 12મો વર્ષ છે. સ્પોર્ટ્સ કમિટીના અગ્રણી દીપ ભટ્ટ અને તપન ઓઝાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કુલ 38 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે રમાશે. બાલકૃષ્ણ દવેએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, પૂર્વ વડીલો, વર્તમાન શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીનીઓની બે ટીમો વચ્ચે પણ ક્રિકેટ મુકાબલો યોજાશે. આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ 26 જાન્યુઆરી સુધી ચાલશે.
આર.કે. ઘરશાળા વિનયમંદિરના વિદ્યાર્થીઓએ અટલ સ્મૃતિ પ્રદર્શનની શૈક્ષણિક મુલાકાત લીધી. આ પ્રદર્શન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને વિચારોને ઉજાગર કરે છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવવાનો હતો. પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓએ અટલજીના જીવનના વિવિધ પ્રસંગો, તેમના રાજકીય યોગદાન અને પ્રેરણાદાયી વિચારો વિશે વિગતવાર માહિતી મેળવી. શાળાના પ્રિન્સિપાલપ્રદીપભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે આવી શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે, શાળાના ટ્રસ્ટીઓએ પણ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં આવા શૈક્ષણિક કાર્યક્રમો સતત આયોજિત કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
શિક્ષણ સમિતિ રમતોત્સવ:ઝોન 3 વોલીબોલ વિજેતા, B ટીમે પ્રથમ, A ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યું
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળ રમતોત્સવ 2025 માંજલપુર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. આ રમતોત્સવમાં શિક્ષક ભાઈઓના વૉલીબૉલ વિભાગમાં ઝોન 3 ની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ફાઇનલ મેચમાં ઝોન 3 ની B ટીમે પ્રથમ સ્થાન અને ઝોન 3 ની A ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. વૉલીબૉલ સ્પર્ધાની ફાઇનલ મેચ ઝોન 3 ની B ટીમ અને ઝોન 3 ની A ટીમ વચ્ચે રમાઈ હતી. ઝોન 3 ની B ટીમમાં હરેશભાઈ, ચિરાગભાઈ, કૌશિકભાઈ, કલ્પેશભાઈ, યોગેશભાઈ, ઇરશાદભાઈ, ઉમેશભાઈ, પંકજભાઈ અને રફીકભાઈનો સમાવેશ થતો હતો. જ્યારે A ટીમમાં જયેશભાઈ, રાહુલભાઈ, અક્ષયભાઈ, ધર્મેશભાઈ, રામભાઈ, સુધીરભાઈ, ગિરીશભાઈ, પરમવીરભાઈ અને સોહેલભાઈએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ, ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી ડૉ. વિપુલભાઈ ભરતીયા સહિત સમિતિના સભ્યો દ્વારા તમામ વિજેતા શિક્ષક ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 ના રમતોત્સવમાં પણ શિક્ષક ભાઈઓના વૉલીબૉલ વિભાગમાં ઝોન ૩ ની ટીમ જ વિજેતા બની હતી.
A ONE XAVIER’S SCHOOL, નરોડા દ્વારા વાર્ષિક ઉત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ વર્ષના કાર્યક્રમની થીમ “Disneylandની કલ્પનાથી ‘Man Manthan’ની દાર્શનિક યાત્રા સુધી” હતી. વિદ્યાર્થીઓએ આ થીમ દ્વારા કલ્પના, સંસ્કાર અને આત્મમંથનનો સંદેશ રજૂ કર્યો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટક, સંગીત અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી. આ પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યા. શાળા વ્યવસ્થાપન, આચાર્યો, શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો. આ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ગૌરવ ઉમેર્યું. A ONE XAVIER’S SCHOOL પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો.
રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં માલવીયા ચોકમાં તિરંગાની દયનીય હાલત અંગે કોંગ્રેસ દ્વારા ફાયર ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી તેમજ મનપા દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હોવાનો આરોપ લગાવાયો હતો. ફક્ત એટલું જ નહીં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતે કહ્યું હતું કે, 15 દિવસથી આ સ્થળે રાષ્ટ્રધ્વજ જર્જરિત છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જો તંત્રની પાસે રૂપિયા ન હોય તો હું નવા રાષ્ટ્રધ્વજ આપીશ. માલવિયા ચોક સર્કલનો રાષ્ટ્રધ્વજ ગંદી અને જર્જરિત હાલતમાં જોવા મળ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના OBC વિભાગના કાર્યકારી પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતે આ તકે જણાવ્યું હતું કે, ભારતીય તિરંગો દેશના નાગરિકોની આશાઓ-આકાંક્ષાઓનું પ્રતીક છે પરંતુ, રાજકોટના માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ અત્યંત ગંદી અને જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. આ બાબત 'ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002' અને 'રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971'નો સરેઆમ ભંગ છે. મનપાના નીંભર તંત્રની આ કાર્યપદ્ધતિ રાષ્ટ્રધ્વજનું અપમાન સમાન છે અને સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું પ્રતીત થાય છે. આજે પણ ફાયર ઓફિસરને મે નવો ધ્વજ આપવા પ્રયાસ કર્યો હતોમહેશ રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ રોજેરોજ નિયમ મુજબ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવતું હતું. જોકે, હાલ મનપાનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે ત્યારે હાલ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ રાખવામાં આવી રહી છે તે સવાલ પણ તેમણે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કે તંત્ર પાસે રૂપિયા ન હોય તો જરૂર પડ્યે હું નવા રાષ્ટ્રધ્વજ આપવા તૈયાર છું. આજે પણ ફાયર ઓફિસરને મે નવો ધ્વજ આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે સ્વીકારવા ઇનકાર કરી 10 મિનિટમાં માલાવીયા ચોકનો રાષ્ટ્રધ્વજ બદલવા ખાતરી આપી છે. કોઈને રાષ્ટ્રધ્વજનાં સન્માનની પડી જ ન હોય એવું લાગી રહ્યું છેમાલવિયા ચોક એવું સ્થળ છે કે, જ્યાંથી મનપાનાં લગભગ બધા અધિકારીઓ અને પદાધિકારીઓ નિયમિત પસાર થતા હોય છે. છતાં છેલ્લા 15 દિવસથી આ ચોક ખાતે ફરકાવેલા રાષ્ટ્રધ્વજની જર્જરિત હાલત છે. મારી પાસે તારીખ અને સમય સાથેનાં ફોટોગ્રાફ છે. આજે જ્યારે કોંગ્રેસે રજુઆત કરી ત્યારે 10 મિનિટમાં બદલવાની વાત કરાય છે પણ અત્યાર સુધી મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓનાં ધ્યાનમાં આ વાત આવી નથી. જેનાં પરથી કોઈને રાષ્ટ્રધ્વજનાં સન્માનની પડી જ ન હોય એવું લાગી રહ્યું છે. ધ્વજની ગરિમા જાળવવી પણ અનિવાર્ય છેરાષ્ટ્રધ્વજનાં નિયમો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ ધ્વજનો આકાર હંમેશા લંબચોરસ હોવો જોઈએ અને તેની લંબાઈ તથા પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ. ડિસેમ્બર 2021 અને જુલાઈ 2022માં થયેલા સુધારા મુજબ હવે ખાદી ઉપરાંત પોલિએસ્ટર અને મશીન-મેઇડ ધ્વજનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે તેમજ હવે રાષ્ટ્રધ્વજને દિવસ-રાત 24 કલાક ખુલ્લામાં ફરકાવી શકાય છે પરંતુ, આ સુધારાઓની સાથે ધ્વજની ગરિમા જાળવવી પણ અનિવાર્ય છે. સંહિતાના પાર્ટ-1 સેક્શન 2.2 અને પાર્ટ-3 મુજબ, ફાટેલો અથવા ગંદો થયેલો ધ્વજ ક્યારેય પ્રદર્શિત કરવો જોઈએ નહીં. જો ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય તો તેને ખાનગીમાં સળગાવીને અથવા યોગ્ય પદ્ધતિ દ્વારા માનપૂર્વક નિકાલ કરવો જરૂરી છે.
શહેરમાં ગોકુલ ગેલેક્સી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં સોસાયટીના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શ્રીમદ ભાગવત સપ્તાહ કથા દરમિયાન વાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ પણ હાજર રહ્યા હતા. શ્રીમદ ભાગવત પુરાણને ભગવાન કૃષ્ણનો સાહિત્યિક અવતાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે ભાગવત કથા શ્રવણ કરવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધે છે.
પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઇસ્કૂલના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા – 2025નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, વિષયજ્ઞાન, તર્કશક્તિ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતા બિલ્ડર-એન્જિનિયર અને રોટરી ક્લબ ઓફ પાટણના પૂર્વ પ્રમુખ રો. જયરામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પાટણ નગરપાલિકાના નગરસેવક મનોજભાઈ પટેલ, એન.જી. પ્રાથમિક શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ અને શેઠ એમ.એન. હાઇસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા. ક્વિઝ સ્પર્ધામાં ધોરણ 9 અને 10ના કુલ ત્રણ વિદ્યાર્થીઓ ધરાવતી પાંચ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, દેશની સેલિબ્રિટીઝ અને ફોટો ઓળખ જેવા વિવિધ વિષયોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 500થી વધુ વિદ્યાર્થીઓએ પ્રથમવાર ક્વિઝનો અનુભવ કર્યો, જે તેમના માટે આનંદદાયક અને યાદગાર રહ્યો. ક્વિઝ સ્પર્ધાનું સંચાલન શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ડૉ. અલ્પેશભાઈ પટેલે કુશળતાપૂર્વક કર્યું હતું. શાળાના માધ્યમિક વિભાગના તમામ શિક્ષકોએ ક્વિઝની તૈયારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રો. જયરામભાઈ પટેલે જણાવ્યું કે, આવી ક્વિઝ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માનસિક રીતે તૈયાર કરે છે અને તેમની વિચારશક્તિનું સ્તર ઊંચું લાવે છે. મનોજભાઈ પટેલે ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓ તેમજ ક્વિઝ માસ્ટર ડૉ. અલ્પેશભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે કહ્યું કે, વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક વિકાસ, સામાન્ય જ્ઞાન અને તર્કશક્તિમાં વૃદ્ધિ માટે શાળા કક્ષાએ ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ સતત યોજવી જરૂરી છે. આ સ્પર્ધામાં બારોટ ધાર્મિક, પટેલ પૂર્વા અને પટેલ ચૈત્યની લીટલ જીનિયસ ટીમ પ્રથમ વિજેતા બની હતી. શેઠ એમ.એન. હાઇસ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું સતત આયોજન કરવા પ્રતિબદ્ધ છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા પાલનપુરની પોલીસ હેડક્વાર્ટર પ્રાથમિક શાળાના 100 જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટર, ગરમ ટોપી, સ્ટેશનરી કીટ અને બિસ્કિટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ ભેટ ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન, જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક 'સુખનો સૂર્યોદય' મહેમાનો અને શાળાને ભેટ આપવામાં આવ્યું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ગિરીશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મધુબેન અને સ્ટાફ દ્વારા આ વિતરણ કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પિતાની પુણ્યતિથિએ તિથિ ભોજન:છઠીયારડા પ્રાથમિક શાળાના બાળકોને ભોજનનો લાભ મળ્યો
છઠીયારડા પ્રાથમિક કુમાર શાળામાં આજે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન શાળાના મધ્યાહ્ન ભોજન સંચાલક સુનિતા પરમારના સ્વર્ગસ્થ પિતા અમૃતભાઈ ડાહ્યાભાઈ વણકર (કાકોશી)ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આપવામાં આવ્યું હતું. આ પુણ્યતિથિ નિમિત્તે સુનિતાબેન દ્વારા શાળાના તમામ બાળકોને દૂધ પાક, પૂરી અને શાક પીરસવામાં આવ્યા હતા. શાળા પરિવારે પ્રાર્થના સભામાં સુનિતાબેનના પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળા પરિવારે સુનિતાબેનની સેવા ભાવના અને બાળકો પ્રત્યેની લાગણીની પ્રશંસા કરી હતી. શાળા પરિવારે જણાવ્યું હતું કે, આ પ્રકારની સેવાભાવી પ્રવૃત્તિઓથી બાળકોમાં સંસ્કાર, સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યો મજબૂત બને છે.
કરમસદ કબ્રસ્તાનમાં સૂકા વડમાં આગ:ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
કરમસદ ગામમાં પોલીસ ચોકી પાસે આવેલા ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાનમાં આજે બપોરના સુમારે એક સૂકા વડના ઝાડમાં આગ લાગી હતી. આગના કારણે વડનું ઝાડ ભડભડ સળગી ઉઠ્યું હતું.આસપાસના લોકોએ તાત્કાલિક આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ, જેમાં રઘુવીરસિંહ અને પ્રદીપ સહિતના કર્મચારીઓ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સળગતા ઝાડ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઝડપી કાર્યવાહીને કારણે વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું.જોકે, સૂકા વડના ઝાડમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આણંદ ફાયર બ્રિગેડના ફાયર ડ્રાઈવર પ્રદીપસિંહ સોલંકી, લીડિંગ ફાયરમેન પ્રદીપકુમાર પરમાર, ફાયરમેન રઘુવીરસિંહ પઢિયાર અને પાંચ ટ્રેની ફાયરમેને આ કામગીરીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત 52મા યુવા મહોત્સવ – વિજયશ્રી સમારોહ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૫૧મા રાણી અહિલ્યાદેવી યુવા મહોત્સવ દરમિયાન, સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ માઇમ સ્પર્ધામાં યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, ગરબા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમાજશાસ્ત્ર વિભાગના એમ.એમ.ડબ્લ્યુ. પ્રોગ્રામની એક વિદ્યાર્થીનીએ 51મા યુવા મહોત્સવમાં ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી વિભાગનું નામ રોશન કર્યું હતું. તેવી જ રીતે, ૫૨મા રાણી અબ્બક્કા દેવી યુવા મહોત્સવમાં પણ આ જ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીએ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. આ સમગ્ર સિદ્ધિ પાછળ વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. વિભાગના અધ્યાપકો ડૉ. અરુણ પંડ્યા, ડૉ. મોસમ ત્રિવેદી, ડૉ. જીતેન્દ્ર વસાવા, ડૉ. દીક્ષિતા પટેલ, ડૉ. ગોવિંદ બારૈયા તેમજ પ્રા. પરેશ સાલવે દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સલાહ અને પ્રોત્સાહન મળ્યું હતું. સમાજશાસ્ત્ર વિભાગના આ સિદ્ધિપ્રદ પ્રદર્શન બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવારે વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રદર્શને યુનિવર્સિટીના ગૌરવમાં વધારો કર્યો છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા એક મહિલા પ્રોફેસરના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરતી મહિલા પર ચોરીની શંકા છે. ચોરીની કુલ કિંમત આશરે 6.11 લાખ રૂપિયા જેટલી ગણાવવામાં આવી છે. આ મામલે મકરપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરતઆ મામલે મહિલા પ્રોફેસર નિમિતા ચેતન ગુજરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે, તેઓ મારુતિયમ, તરસાલી, સોમાતળાવ રિંગ રોડ પરના મકાન નંબર-1 માં રહે છે. તેમના ઘરનું કામકાજ કરવા માટે તેઓએ ચાર વર્ષથી છાયાબેન મનોજભાઈ બારીયા (રહે. ઘારેટીયા ગામ, સોમાતળાવ, વડોદરા)ને પગારદાર તરીકે રાખી છે. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરીતેઓને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી, તેઓએ ઘરના પહેલા માળે થોડા દિવસ અગાઉ બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરી તપાસી હતી. આ તિજોરીમાં ખોલીને દાગીના રાખ્યા હતા અને તે ખુલ્લી હાલતમાં હતી. તિજોરીનું લોકર પણ ખુલ્લું હતું અને તેમાંથી સોના ચાંદીના કુલ રૂપિયા 6.11 લાખની મતા ચોરી થઈ હતી. મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીપીડિતે જણાવ્યું કે, તેઓએ ઘરમાં તપાસ કરી અને સાસુ-સસરાને પૂછ્યું પરંતુ કોઈ હકીકત મળી ન હતી. ત્યાર બાદ 31 ડિસેમ્બર 2025ના રોજ ઘરકામ કરતી છાયાબેને પીડિતના પતિએ પ્રથમ લગ્ન વર્ષગાંઠ પર ગિફ્ટમાં આપેલી સોનાની વીંટી પહેરીને આવી હતી. જ્યારે પીડિતે તેને પૂછ્યું તો તેણે કોઈ જવાબ આપ્યા વિના ઘર છોડીને જતી રહી. આ મામલે હાલમાં મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રેલવે સ્ટેશન પર વૃદ્ધ બેભાન થઈ ઢળી પડ્યા:સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો; હાર્ટ-એટેકથી મોતની આશંકા
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર પોતાના પરિવાર સાથે પરિજનને મૂકવા આવેલા 60 વર્ષીય વૃદ્ધ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતાં. તેઓને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાની આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સારવારમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યાવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શરદનગર ખાતે રહેતા અનુરાગ મહેશચંદ્ર સિન્હા (ઉં.વ.60) તેઓ આજે સવારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ઉપર પોતાના પરિવારજનોને મુકવા માટે આવ્યા હતા. દરિમયાન અચાનક જ બેભાન થઈ જતા તેઓને તાત્કાલિક 108 મારફતે શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશેવડોદરા રાજકીય રેલવે પોલીસે આ વૃદ્ધના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેઓના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તેઓ હાલમાં આ મામલે કઈ પણ બોલવા તૈયાર નથી. અનુરાગભાઈ ખાનગી નોકરી કરતા હતા અને તેઓનો પુત્ર યુ.એસ. રહેતો હોવાની હાલમાં વિગતો જાણવા મળી છે. તેઓના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે.
ગાંધીનગરના ડભોડા વિસ્તારમાં પત્ની અને ત્રણ માસૂમ દીકરીઓ સાથે ખેતમજૂરી કરતા એક યુવાનનું વડોદરા ગામના પાટીયા પાસે પૂરઝડપે આવતી અશોક લેલેન્ડ ગાડીએ ટક્કર મારતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ચાલીને જઈ રહ્યા હતા ત્યારે વાહનચાલકે પાછળથી ટક્કર મારીમૂળ છોટા ઉદેપુરના અને હાલ ડભોડામાં દીપ પટેલના બોરકુવા પર રહી મજૂરી કરતા નિશાબેન નાયકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 4 વર્ષની દીકરી દેવ્યાંશીને ઉધરસ થઈ હોવાથી ગઈકાલે તેમના પતિ દિલીપભાઈ નાયકા તેને અને મોટી દીકરીને લઈ વડોદરા ગામે સરકારી દવાખાને સારવાર કરાવવા ગયા હતા. દરમિયાન બપોરે આશરે સવા અગિયાર વાગ્યાના અરસામાં દિલીપભાઈ બંને દીકરીઓ સાથે વડોદરા ગામની ભાગોળે દવાખાના સામેથી ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે વડોદરા પાટીયા તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતી અશોક લેલેન્ડ ગાડી (નં. UK-06-G-0019) ના ચાલકે દિલીપભાઈને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતઆ અકસ્માતમાં દિલીપભાઈને શરીરે અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે ઈજાઓ ગંભીર હોવાના કારણે દિલીપભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ બે અજાણ્યા યુવાનોએ નિશાબેનને ઘરે જઈ જાણ કરી હતી અને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. આ અંગે ડભોડા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન નશો કરીને વાહન ચલાવનારા અને જાહેરમાં નશો કરનારા 90થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હિંમતનગર સહિત જિલ્લાના 14 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બ્રેથ એનેલાઈઝર વડે તપાસ, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. રાત્રી દરમિયાન ખાસ કરીને હિંમતનગરમાં પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પર વિશેષ ધ્યાન અપાયું હતું. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર એ ડિવિઝનમાં 4 કેસ, હિંમતનગર બી ડિવિઝનમાં 6 કેસ, હિંમતનગર ગ્રામ્યમાં 9 કેસ, ગાંભોઈમાં 2 કેસ, પ્રાંતિજમાં 11 કેસ, તલોદમાં 4 કેસ, વડાલીમાં 20 કેસ, ઈડરમાં 10 કેસ, ખેડબ્રહ્મામાં 7 કેસ, પોશીનામાં 7 કેસ, વિજયનગરમાં 7 કેસ અને ચિઠોડામાં 2 કેસ નોંધાયા હતા. આ તમામ કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને નશાબંધી ભંગના હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવીને એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કર્મચારીએ આવાસ યોજનાના હપ્તા પાસ કરવાના બદલામાં અરજદાર પાસેથી લાંચ માંગી હતી. ઘોઘંબા તાલુકા પંચાયતના આવાસ યોજના વિભાગમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુબાન સિરાજ બાગવાલાને ACBએ ઝડપી પાડ્યા છે. તેમણે વર્ષ 2024-25માં મંજૂર થયેલી આવાસ યોજનાના એક લાભાર્થીના બીજા હપ્તાની રકમ છૂટી કરવા માટે ₹2,000ની લાંચની માંગણી કરી હતી. આથી, લાભાર્થીએ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે, ACBની ટીમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. સુબાન બાગવાલાએ ફરિયાદી પાસેથી લાંચ પેટે ₹2,000 સ્વીકારતા જ, ACBએ તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. ACBએ લાંચના નાણાં જપ્ત કરીને આરોપી કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ભ્રષ્ટાચારના કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 'થર્ટી ફર્સ્ટ'ની રાત્રિ લોહીયાળ સાબિત થઈ છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને નશાખોરો પરની વોચ વચ્ચે અસામાજિક તત્વોએ બે યુવાનોની નિર્મમ હત્યા કરી નાખતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સચીન વિસ્તારમાં ગુટખાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી, જ્યારે લિંબાયતમાં જૂની અદાવતનો ખાર રાખી 6થી 8 જેટલા શખ્સોએ 24 વર્ષીય યુવકની છાતીમાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. સચીનમાં ગુટખાના પૈસાની મામૂલી વાતમાં સૂરજની હત્યાપહેલી ઘટના સચીન પોલીસ મથકની હદમાં આવતા સ્લમ બોર્ડ વિસ્તારમાં બની હતી. ગોડાદરા સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય સૂરજ મુકેશ સુરવાડે 31મીની રાત્રે સચીન સ્લમ બોર્ડ પાછળ આવેલા હનુમાનજી મંદિર પાસે હાજર હતો. રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રમદેવ અને સાહીલ કુરબાનખાન પઠાણ સાથે સૂરજને ગુટખા ખાવાના પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. સાહીલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધોઆ સામાન્ય તકરાર જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઉશ્કેરાયેલા કમલેશ અને સાહીલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. સૂરજને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૂરજ ગોડાદરાથી સચીન શા માટે ગયો હતો અને આ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે સચીન પોલીસે તપાસ શરૂ કરી છે. લિંબાયતમાં જૂની અદાવતે 24 વર્ષીય જયેશનો ભોગ લીધોહત્યાની બીજી ઘટના લિંબાયત વિસ્તારમાં બની હતી. ડિંડોલી બાલાજી નગર રોયલ સ્ટાર રેસીડેન્સીમાં રહેતો 24 વર્ષીય જયેશ રમેશ પટેલ આશાપુરી દ્વારકેશનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે 6થી 8 જેટલા અજાણ્યા ઈસમોએ તેને ઘેરી લીધો હતો. આ ટોળકી પૈકીના વિશાલ નામના ઈસમે જયેશની છાતીમાં ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હત્યા પાછળ બે વર્ષ જૂનો ઝઘડો જવાબદારજયેશના મિત્રોના જણાવ્યા મુજબ, આ હત્યા પાછળ બે વર્ષ જૂનો ઝઘડો જવાબદાર છે. જૂની અદાવત રાખીને વિશાલ વાઘ અને રાકેશ ગોરખ સહિતના શખ્સોએ જયેશની હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ દુર્ઘટનામાં જયેશની અઢી વર્ષની માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. પોલીસ નશાખોરોને પકડવામાં વ્યસ્ત હતી ને ખૂની ખેલ ખેલાયાથર્ટી ફર્સ્ટની રાત્રે સુરત પોલીસ કમિશનર દ્વારા આખા શહેરમાં હજારો પોલીસ જવાનો તહેનાત હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, લિંબાયત અને સચીન જેવા વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ નશાખોરોને પકડવામાં વ્યસ્ત હતી, જેનો લાભ ઉઠાવી અસામાજિક તત્વોએ બેફામ બનીને હત્યાના ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાહાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સચીન અને લિંબાયત પોલીસે અલગ-અલગ ગુના નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ બેવડી હત્યાથી સુરતવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવા વર્ષની ઉજવણી પાર્ટી અને આતશબાજીથી નહીં પરંતુ, યોગ અને ધ્યાનથી કરવાનું અનોખું દૃશ્ય ગુજરાતમાં જોવા મળ્યું. વર્ષ 2026ની પ્રથમ સૂર્યકિરણ સાથે રાજ્યભરમાં એક લાખથી વધુ નાગરિકોએ સામૂહિક રીતે સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને નવા વર્ષની મંગલ શરૂઆત કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ અભિયાનમાં યુવાધનનો ઉત્સાહ ખાસ જોવા મળ્યો. આ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહ પણ કાર્યક્રમ સાથે જોડાયા હતા. વહેલી સવારથી જ રાજ્યના શહેરો, ગામડાં, ઘરની અગાશીઓ અને બગીચાઓમાં યોગાભ્યાસનું દૃશ્ય જોવા મળ્યું. ગુજરાતની નવી પેઢી હવે સ્વાસ્થ્ય અને સંસ્કાર પ્રત્યે વધુ જાગૃત બની રહી છેનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણી મોડી રાત સુધીની પાર્ટીઓમાં નહીં પરંતુ, વહેલી સવારે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે કરવી જોઈએ. આવી સ્વસ્થ શરૂઆત યુવાધનના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બને છે. મોટી સંખ્યામાં યુવાનોની ભાગીદારી એ વાતની સાબિતી છે કે, ગુજરાતની નવી પેઢી હવે સ્વાસ્થ્ય અને સંસ્કાર પ્રત્યે વધુ જાગૃત બની રહી છે. સામૂહિક ધ્યાન દ્વારા શાંતિ અને એકાગ્રતાનો અનુભવ કરાવવામાં આવ્યો હતોગુજરાત રાજ્ય યોગ બોર્ડની યુ-ટ્યુબ ચેનલ પર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ નાગરિકોએ ઓનલાઈન જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૂર્ય નમસ્કારનો ઇતિહાસ, હનુમાનજીની સૂર્ય સાધના તથા તેના વૈજ્ઞાનિક લાભો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અંતે સામૂહિક ધ્યાન દ્વારા શાંતિ અને એકાગ્રતાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં ‘મેદસ્વિતા મુક્ત’ અને ‘રોગ મુક્ત’ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું આ ઐતિહાસિક અભિયાનમાં જોડાયેલા તમામ નાગરિકોને ઓનલાઈન રજીસ્ટ્રેશનના આધારે ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાન દ્વારા ગુજરાતમાં ‘મેદસ્વિતા મુક્ત’ અને ‘રોગ મુક્ત’ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું ભરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાઓ રિપેર કરવામાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરદારબાગ વિસ્તારમાં આવેલા ઘાંચી પટથી પંજેતની પાર્ક સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા બે મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વોર્ડ નંબર 11 ના 65 વર્ષીય રહીશ અબ્દુલ રહેમાન પટ્ટણીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા જેવા વૃદ્ધો માટે આ રસ્તા પર ચાલવું પણ જોખમી બન્યું છે. રસ્તાની બાજુમાં જ કૂવો આવેલો હોવાથી પાણીના કારણે રસ્તો બેસી જવાની બીક રહે છે. જો વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે. રસ્તો ખોદાયેલો હોવાથી બાળકોને સ્કૂલે જવા-આવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશ સાજીદ સમએ તંત્રની પોલ ખોલતા એક ગંભીર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બે દિવસ પહેલા જ વિસ્તારમાં એક વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતા એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ રસ્તો એટલો ખરાબ છે કે એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહોતી. અંતે રહીશોએ ભેગા મળીને દર્દીને સ્ટ્રેચર પર ઉંચકીને મેઈન રોડ સુધી લઈ જવો પડ્યો હતો. આ વિસ્તારમાં દૂધવાળા, શાકભાજીના ફેરિયાઓ પણ આવી શકતા નથી, જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્પોરેટર માત્ર 'લોલીપોપ' આપે છે. રહીશોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમના તરફથી માત્ર કામ થઈ જશે તેવા પોલા વાયદાઓ જ મળે છે. એટલું જ નહીં, અહીં નાખવામાં આવતી પાઈપલાઈનો પણ હલકી ગુણવત્તાની હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વારંવાર લાઈનો લીકેજ થતા પીવાના પાણીનો પણ બગાડ થઈ રહ્યો છે. તંત્ર અને જનપ્રતિનિધિઓના ઉદાસીન વલણથી કંટાળીને અંતે મોટી સંખ્યામાં રહીશો મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. કમિશનરને રૂબરૂ મળીને રસ્તાની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કર્યા હતા અને વહેલી તકે નવો રસ્તો બનાવવા માંગ કરી હતી. કમિશનર દ્વારા રહીશોને યોગ્ય તપાસ કરી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ હાલાકીનો અંત ક્યારે લાવે છે.
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા હનુમાનપુરી ધામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે અયોધ્યા શ્રીરામ મંદિરની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે 31 ડિસેમ્બરની રાત્રે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 1100 દિવડાઓ પ્રગટાવી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મહાઆરતી સંપન્ન કરવામાં આવી હતી. આ આયોજન વિશ્વ હિંદુ પરિષદના સત્સંગ સંયોજક શાસ્ત્રી ઋત્તુબાપુ ભટ્ટ દ્વારા કરાયું હતું. આ અવસરે નાગનેશ મોટા રામજી મંદિરથી 1008 મહામંડલેશ્વર પતિતપાવનદાસજી બાપુએ ખાસ ઉપસ્થિતિ આપી ભક્તજનોને આશીર્વચન પાઠવ્યા હતા. શહેરની બહેનો દ્વારા 1100 દિવડાઓ પ્રગટાવી સુંદર રંગોળી રચવામાં આવી હતી અને “જય શ્રી રામ” લખી શ્રદ્ધા વ્યક્ત કરાઈ હતી. આ દ્રશ્યને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો.
(IMAGE - IANS) Indore Water Contamination Deaths: જે ઈન્દોર શહેરને ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત 'દેશના સૌથી સ્વચ્છ શહેર'નો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, એવામાં હવે ત્યાં જ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 2026ના નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરે પવિત્ર ધનુર્માસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવાર, 1 જાન્યુઆરી, 2026ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગાર સાથે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં કુલ 251 કિલો સુખડી, મેસુબ, અડદિયો અને મોહનથાળ જેવા વિવિધ મિષ્ટાનનો સમાવેશ થતો હતો. ધનુર્માસના પાવન અવસર પર મંદિરમાં ભક્તિભાવ અને જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ દેશ-વિદેશથી આવેલા મોટી સંખ્યામાં ભક્તોએ કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શનનો લાભ લીધો હતો. નવા વર્ષની શરૂઆત અને ધનુર્માસની ઉજવણી એકસાથે થતા સાળંગપુરધામ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કાળુબાપુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિના દ્વિતીય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ 44 નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. ગઢડા શહેરના સામાકાંઠા ગઢાળી રોડ પર આયોજિત આ કાર્યક્રમમાં સાધુ-સંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલા તમામ નવદંપતિઓને કબાટ, શેઠી અને રસોડાની વસ્તુઓ સહિત કુલ 75 જેટલી કરિયાવરની સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે ગઢડા ગામમાં ધુમાડો બંધ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. સમૂહ લગ્ન સમિતિના સ્વયંસેવક મનસુખ કાણોત્રરાએ જણાવ્યું હતું કે, આજના મોંઘવારીના સમયમાં સમૂહ લગ્ન અત્યંત જરૂરી છે, ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો માટે, જેથી અનાવશ્યક ખર્ચ ટાળી શકાય. સ્થાનિક આગેવાન મુકેશ હિહોરીયાએ ઉમેર્યું હતું કે, ગઢડામાં છેલ્લા બે વર્ષથી કાળુબાપુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. સમિતિ દ્વારા નવદંપતિઓને પૂરતું કરિયાવર આપવામાં આવે છે, જે પ્રશંસનીય કામગીરી છે. આ સમગ્ર સમારોહ સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નાતાલના વેકેશન અને નવા વર્ષની ઉજવણી માટે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં 20 ડિસેમ્બરથી જ દર્શનાર્થીઓ અને પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દેશ-વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજ્યોમાંથી લાખો ભક્તો ભાવ અને શ્રદ્ધા સાથે દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે. આ ભીડને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ, જેમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, એસ.પી. જયરાજસિંહ વાળા, દ્વારકા ડિવિઝનના ડીવાય.એસ.પી. સાગર રાઠોડ, પ્રાંત અધિકારી અમોલ આવટે અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે, તેમણે વ્યવસ્થાની કમાન સંભાળી છે. અધિકારીઓ હેડક્વાર્ટર છોડીને દ્વારકામાં ખડેપગે મુકામ કરી રહ્યા છે જેથી યાત્રીકોને સુઘડ વ્યવસ્થા મળી રહે. યાત્રીકોની હકડેઠઠ ભીડને કારણે વાણિજ્ય-વ્યાપાર સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન અને ઉતારાની વ્યવસ્થા ખૂબ જ ટૂંકી પડી રહી છે. હોટલ, રિસોર્ટ, અતિથિગૃહો અને હોમ-સ્ટે સહિત 2500 જેટલા રૂમો હાઉસફૂલ થઈ ગયા છે, જેના કારણે ઘણા પ્રવાસીઓને જામનગર, પોરબંદર અને રાજકોટ જેવા નજીકના શહેરોમાં રોકાવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે, દ્વારકાવાસીઓ શક્ય તેટલા પ્રયત્નોથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની વ્યવસ્થા માટે આતુર છે. દ્વારકાના જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો અને શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર 24 કલાક અવર-જવર જોવા મળી રહી છે. આ નજારો જોઈને એવું લાગી રહ્યું છે કે દ્વારકા કોઈ મહાકાય શહેરમાં સમાવેશ થયું હોય તેવો આભાસ દ્વારકાવાસીઓ અનુભવી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં પણ મંદિરના વારાદાર પૂજારીઓ અને ગુગળી જ્ઞાતિના પંડાઓ દ્વારા વહીવટીતંત્રને સહકાર આપી દર્શનાર્થીઓ માટે સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે ભીડને લઈને દ્વારકાના ગોમતી ઘાટ ઉપરથી છપ્પનસીડી પસાર થઈને યાત્રીકોને દર્શનાર્થે પ્રવેશ કરવા માટે બેરીકેટીંગનો ઉપયોગ કરાયો છે અને યાત્રીકોને ચુસ્ત સુરક્ષા સાથે તપાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દ્વારકામાં આવેલી ધાર્મિક સંસ્થાઓ જેવી કે શંકરાચાર્ય મહારાજની પ્રાચીન શારદાપીઠ, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી શક્તિપીઠ, સનાતન સેવા મંડળ, ભારત સેવાશ્રમ, ભક્તિધામ આશ્રમ, સ્વામિનારાયણ આશ્રમ અને સન્યાસાશ્રમ જેવી અનેકવિધ સંસ્થાઓમાં યાત્રીકોની રહેવાની અને ધર્મના સત્સંગ માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરાઈ છે. જેને લઈને દ્વારકા નગરની ગલીઓ, મહોલ્લાઓ અને જાહેર સ્થળોમાં સર્કલો ઉપર માત્ર ને માત્ર ધર્મમય માહોલ જ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ગુગળી જ્ઞાતિ સંચાલિત રોજના છ ધ્વજાજીના મનોરથ જગતમંદિરના શિખર પર આરોહણ થતાં મનોરથ ભાવિક ભક્તો ભક્તિ, સંગીત અને શ્રદ્ધાથી પૂર્ણ કરી રહ્યા છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાને મનપાનો દરજ્જો મળ્યે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારા રસ્તા, ગટર, પીવાનું પાણી અને સ્વચ્છતા આપવામાં મહાનગરપાલિકા નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર હર્ષિલ દવેએ સદબુદ્ધિ હવન અને ગૌપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ મહાનગરપાલિકા કચેરીના મુખ્ય ગેટ બહાર યોજાયો હતો. સામાજિક કાર્યકર હર્ષિલ દવેએ અગાઉ પણ અનેકવાર મહાનગરપાલિકા કચેરીમાં જઈ પ્રાથમિક સુવિધાઓના અભાવે શહેરીજનોને પડતી હાલાકી અંગે ઉગ્ર રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો તેમનો દાવો છે. મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે હર્ષિલ દવેએ જણાવ્યું હતું કે, પાછલા એક વર્ષમાં મહાનગરપાલિકાએ જે કામો કર્યા નથી, તે કામો આવનારા વર્ષમાં ઝડપથી કરવાની તંત્રમાં સદબુદ્ધિ આવે તે માટે આ સદબુદ્ધિ હવન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આણંદ શહેરના જે વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યાં તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે. ઉપરાંત, ગરીબોના ઘર ન તૂટે અને લોકોની રોજીરોટી છીનવાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. હર્ષિલ દવેએ ગૌમાતાની દયનીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આણંદમાં ગૌચરની જમીન ફાળવવામાં ન આવતા ગાયો રસ્તાઓ પર ભટકી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ ગાયોને પાંજરે પૂરવામાં આવે છે, પરંતુ પાંજરાપોળની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. ગૌમાતાની આ ખરાબ હાલતને કારણે આજે ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા પોલીસે ગોઠવેલા ચુસ્ત બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. આ દરમિયાન 132 પીધેલા અને 83 ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાયા હતા. નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાત્રિને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એસ.પી. જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન જિલ્લાના મુખ્ય માર્ગો, હાઈવે, પર્યટન સ્થળો, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. ખાસ કરીને દારૂ પીને વાહન ચલાવનારાઓ (ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ) સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની સઘન કાર્યવાહી દરમિયાન કુલ 132 વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ ઉપરાંત, 83 વાહનચાલકો ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા પકડાયા હતા. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના બંને ડિવિઝન હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એકસાથે ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પોતે મેદાનમાં ઉતરીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા મોટાભાગના લોકો સંઘ પ્રદેશ દીવ તરફથી દારૂ પીને જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા હતા. આવા વાહનો પર પોલીસે વિશેષ નજર રાખી હતી. પોલીસના ચુસ્ત અને આગોતરા આયોજનના કારણે ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ અને કોઈપણ વિક્ષેપ વિના સંપન્ન થઈ. જિલ્લા પોલીસ તંત્રએ ભવિષ્યમાં પણ જાહેર સુરક્ષા અને ટ્રાફિક સલામતી માટે આવા સઘન પગલાં ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આજના સમયમાં નાની-નાની વાતોમાં ઉશ્કેરાઈને કાયદો હાથમાં લેનારા તત્વો માટે ગાંધીનગર કોર્ટનો આ ચુકાદો એક ચેતવણી સમાન છે. રાંધેજામાં વર્ષ 2021 માં માત્ર ગાડીનો દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં બે ભાઈઓને ચોથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એલ. રબારીએ તકસીરવાન ઠરાવી 3 વર્ષ સુધી જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. ત્રણ શખસોએ સામાન્ય બાબતે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતોગાંધીનગરના રાંધેજા ઉમિયાનગરમાં રહેતા ગીરીશ રસીકભાઈ પટેલ પર વર્ષ 2021 માં ગાડીનો દરવાજો ખોલવા જેવી નજીવી બાબતે અક્ષયસિંહ મહેન્દ્રભાઈ ડાભી અને હાર્દિકસિંહ ડાભી સહિત ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. નજીવી વાતમાં શરૂ થયેલો ઝઘડો એટલો વકર્યો હતો કે આરોપીઓએ લાકડી ફટકારી ગીરીશભાઈનો હાથ ભાંગી નાખ્યો હતો. 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારાયોઆ મામલે પેથાપુર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ ચૌધરીએ દલીલો કરી હતી કે, આવી સામાન્ય બાબતોમાં હિંસા આચરનારાઓને સજા મળવી જરૂરી છે જેથી સમાજમાં શાંતિ જળવાય. ચોથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એલ. રબારીએ પુરાવાઓને આધારે અક્ષયસિંહ અને હાર્દિકસિંહને આઈપીસી 325 મુજબ 3 વર્ષની કેદ તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી પ્રજ્ઞેશ દરજીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
રાજ સિતાપૂર ગામે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ:શ્રદ્ધાળુઓ આસ્થાભેર પોથીયાત્રામાં જોડાયા
ધ્રાંગધ્રાના રાજ સિતાપૂર ગામે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ થયો છે. જાણીતા કથાકાર રાજુ (આદરીયાણા) પંડ્યા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સૂર્યના ધન રાશિમાં પરિભ્રમણને 'ધનારક' અથવા 'કમૂર્તા' કહેવાય છે. આ સમયગાળામાં લગ્ન જેવા શુભ કાર્યો વર્જિત મનાય છે, પરંતુ ભગવાનની કથાઓ સાંભળવા અને દાન-સ્નાનનો વિશેષ મહિમા છે. આ કારણે આ મહિનામાં ગામડે-ગામડે અને શહેરોમાં ધાર્મિક કથાઓનું આયોજન થતું હોય છે. આ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન રાજ સિતાપૂર ગામના સરપંચ અને ગામની તમામ જ્ઞાતિના લોકોના સહયોગથી કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે રાજ સિતાપૂરની બજારોમાં પોથીજીની ભવ્ય પોથીયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાભેર જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતના લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ કરી રહ્યા છે.
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી અનિચ્છનીય ઘટના બનતા અટકાવી છે. SOG એ પરિવાર સાથેના ઝઘડાનો બદલો લેવા માટે ઉત્તર પ્રદેશથી દેશી તમંચો લઈને આવેલા 21 વર્ષીય યુવકની હથિયારો સાથે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 5 જીવતા કાર્ટીઝ પણ જપ્ત કર્યા છે. નવસારી SOG ના ઇન્ચાર્જ પીઆઈ પી.વાય. ચિત્તેના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અહેકો ભક્તેશભાઈ અને હેકો મયુરભાઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. ગોપાલનગરથી ઘેલખડી જવાના રોડ પર આવેલા જય મામા દેવ મંદિર પાછળ તળાવ પાસેથી આરોપી શિવન ત્રિભુવન પ્રસાદ (ઉ.વ. 21) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લાયસન્સ વગરનો દેશી બનાવટનો કટ્ટો (તમંચો) અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક દેશી તમંચો (કિંમત રૂ. 5,000/-), પાંચ જીવતા કાર્ટીઝ (કિંમત રૂ. 500/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000/-) નો સમાવેશ થાય છે. કુલ રૂ. 10,500/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી શિવનને તેના પરિવારના સભ્યો સાથે અગાઉ માથાકૂટ થઈ હતી, જેમાં તેને માર મારવામાં આવ્યો હતો. આ અપમાનનો બદલો લેવા માટે તે ઉત્તર પ્રદેશથી પરત આવ્યો હતો અને સુરતના એક ઈસમ પાસેથી હથિયાર ખરીદ્યું હતું. તેનો ઈરાદો પોતાના જ પરિવારના સભ્યો પર ગોળીબાર કરી તેમની હત્યા કે હુમલો કરવાનો હતો. ઝડપાયેલ આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરનો રહેવાસી છે અને હાલ નવસારીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. SOG ની ફરિયાદના આધારે જલાલપોર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
હીરા નગરી સુરતમાં નવા વર્ષની ઉજવણીના માહોલ વચ્ચે વેસુ વીઆઈપી રોડ પર આવેલી એક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના સામે આવી છે. પોશ વિસ્તાર ગણાતા વેસુના સફાઈર કોર્ટ રેસીડેન્સીના એક લક્ઝુરિયસ ફ્લેટમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકામળતી માહિતી મુજબ, સફાયર કોર્ટના બીજા માળે આવેલા એક આલીશાન 5 BHK ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા ફ્લેટને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. સદનસીબે, જ્યારે આ ઘટના બની ત્યારે પરિવાર 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે બહાર ગયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. ફાયર જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી આગ કાબૂમાં કરીઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી હતી. ફાયર ઓફિસર કિશોર પટેલે જણાવ્યું હતું કે, શહેરના અલગ-અલગ પાંચ ફાયર સ્ટેશનની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટ મોટો હોવાથી અને અંદર ફર્નિચરના કારણે અસહ્ય ધુમાડો થયો હતો. ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો. સતત પાણીનો મારો ચલાવીને અંદાજે અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. કરોડોનું નુકસાન, પણ પાડોશીઓ સુરક્ષિતઆ ભીષણ આગમાં 2 કરોડથી વધુની કિંમતના આ લક્ઝુરિયસ ફ્લેટમાં રહેલું તમામ રાચરચીલું બળીને રાખ થઈ ગયું છે. જેમાં એસી, મોંઘું ફર્નિચર અને ઈલેક્ટ્રિક વાયરિંગનો સમાવેશ થાય છે. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ ઉપર કે નીચેના ફ્લેટમાં પ્રસરી શકી નહોતી, જેથી અન્ય રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવાર ઘરે હાજર ન હોવાથી મોટી હોનારત ટળી છે, પરંતુ આગને કારણે ફ્લેટમાં લાખો-કરોડોનું નુકસાન થયું છે.
સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 1.87 કરોડની ઓનલાઈન છેતરપિંડી આચરનાર ગેંગના એક સભ્યને પુણે, મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ફરિયાદી પાસેથી આ રકમ પડાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. તેમણે પોતાને ટ્રેડિંગ એડવાઈઝર તરીકે ઓળખાવી, અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ, આરોપીઓએ તેમની પાસેથી કૂલ રૂ. 1,87,44,407 DIWAN Enterprise ના બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ, https://metaxoption.com વેબસાઈટ પર ખોટો નફો દર્શાવી, ફરિયાદીને તેમની રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS-2023 કલમ 316(5), 336(3), 318(4), 61(2) તથા IT એક્ટ કલમ 66(સી), 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા અને PI આઇ.એ. ઘાસુરાની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PC કાટુભાઈ વસરા, PSI એચ.કે. જાલા અને HC ભગીરથસિંહ જાડેજાએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરી હતી. આ માહિતીના આધારે, આરોપી એઝાજ સલીમભાઈ અબ્દુલઅજીજ શેખ (ઉં.વ. 37, રહે. કોંઢવા, પુણે, મહારાષ્ટ્ર) ને પુણેથી પકડી પાડવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આવા છેતરપિંડીના બનાવોથી બચવા માટે જનતાને સાવચેત રહેવાની અપીલ કરી છે. કોઈપણ અજાણી વ્યક્તિ કે સંસ્થા પર આંધળો વિશ્વાસ ન કરવા, ઝડપથી ધનવાન બનાવવાનું વચન આપતી યોજનાઓથી સાવધાન રહેવા જણાવાયું છે. રોકાણ કરતા પહેલા કંપનીની વિશ્વસનીયતા અને માર્કેટમાં તેની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ, જે સેબીની વેબસાઈટ પરથી ચકાસી શકાય છે. શેરબજારમાં રોકાણ માટે માત્ર સેબી દ્વારા નિયમિત બ્રોકરનો જ ઉપયોગ કરવો અને રોકાણ કરતા પહેલા જોખમોને સમજવા પણ જરૂરી છે. શેરબજારમાં રોકાણ કરવું એ લાંબા ગાળાની રોકાણની યોજના છે અને તેમાં જોખમો સહજ હોય છે. ઝડપથી ધનવાન બનવાની લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ ન બનો. આવી કોઈપણ છેતરપિંડીની જાણ તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવી.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અનોખી પહેલ છેલ્લા 4 વર્ષથી શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે તે માટે પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. અનુભવી વિષય નિષ્ણાતો દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના 80 જેટલા ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ પેપર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક જ ક્લિકમાં અનુભવો શિક્ષકો દ્વારા તૈયાર કરેલી પ્રશ્નબેંક મેળવી શકશે. રાજ્યભરના વિદ્યાર્થીઓ એક ક્લિક દ્વારા તમામ વિષયની પ્રશ્ન બેંક મેળવી શકશેબોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સતત ચોથા વર્ષે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડિજિટલ પ્રશ્ન બેંક અને દરેક વિષયના બે મોડેલ પ્રશ્નપત્રોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સચોટ અને ગુણવત્તાયુક્ત મટીરિયલ પૂરું પાડવાનો છે. રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ પ્રશ્નબેંકનો એક જ ક્લિકમાં લાભ લઈ શકશે. વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિક દ્વારા તમામ વિષયની પ્રશ્ન બેંક મેળવી શકશે. ધો.12ના ત્રણેય પ્રવાહના 40 જેટલા વિષયનો સમાવેશપ્રશ્નબેંકમાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય પ્રવાહના કુલ 40 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાયા છે. ધોરણ 10ના મુખ્ય 6 વિષયો, વિજ્ઞાન પ્રવાહના 6 વિષયો અને સામાન્ય પ્રવાહના 8 મહત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદના અનુભવી શિક્ષકો અને ટેકનિકલ ટીમના અથાગ પરિશ્રમથી ડિજિટલ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા દરેક વિષયના અંદાજે 300 જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. સ્કૂલ દ્વારા વાલી-વિદ્યાર્થીઓને લિંક મોકલી આપવામાં આવશેગયા વર્ષે પણ પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી હતી, જેના કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારી મદદ મળી હતી. કારણ કે જે પણ પ્રશ્ન તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાંથી ઘણા બધા પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયા હતાં અને જેનાથી બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ સુધર્યું હતું. આ પ્રશ્ન બેંકની વિશેષતા તેની સરળતા છે. વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ માધ્યમથી ગમે ત્યાંથી આ મટીરિયલ ડાઉનલોડ કરી શકે છે. પ્રશ્નબેંક માટેની લિંક તમામ શાળાઓમાં મોકલી આપવામાં આવી છે, જેથી શાળાઓ દ્વારા આ લિંક વાલીઓને અને વિદ્યાર્થીઓને મોકલી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પસંદગીની ભાષામાં મટિરિયલ મેળવી શકશેશેર કરવામાં આવેલી ઈમેજ કે લિંક પર ગમે ત્યાં ક્લિક કરવાથી અથવા ક્યુઆર કોડ સ્કેન કરવાથી સીધું જ પોર્ટલ ખૂલી જશે. અહીં વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું ગુજરાતી કે અંગ્રેજી, ધોરણ અને વિષય પસંદ કરીને મટીરિયલ મેળવી શકશે. આ પદ્ધતિ એટલી સરળ બનાવાઈ છે કે, છેવાડાના ગામડાનો વિદ્યાર્થી પણ ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરી શકે છે. પરીક્ષા માટે આત્મવિશ્વાસ ઊભો કરવાનો અમારો પ્રયાસઃ DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, સતત ચોથા વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્ન બેંકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ડિજિટલ સ્વરૂપે આ પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માત્ર એક જ ક્લિકમાં નિશુલ્ક પ્રશ્ન બેંક મેળવી શકશે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 40 વિષયોની પ્રશ્ન બેંક અને મોડલ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના અનુભવી શિક્ષકોની મહેનત અને સમયદાનના કારણે સતત ચોથા વર્ષે પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગણીને આધારે આ તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ જે પ્રકારની તૈયારી કરી હોય તેમના માટે આ પ્રશ્નબેંક ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. ગયા વર્ષે પણ મહત્તમ વિદ્યાર્થીઓએ આ પ્રશ્નબેંકનો લાભ લીધો છે. પરીક્ષા માટે આત્મવિશ્વાસ ઊભો કરવાનો અમારો પ્રયાસ છે. તેમજ પરિણામ પર પણ અસર જોવા થઈ શકે છે.
અમદાવાદમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી અને અગ્રણી ગ્રાસરૂટ બિન નફાકારક સંસ્થા, અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને સહાયરૂપ થવા માટે સમર્પિત વ્હીલચેર વિતરણ અભિયાન જોય ઓફ ગિવિંગ ની ગૌરવપૂર્વક જાહેરાત કરવામાં આવી છે. આ માનવતાવાદી આ પહેલ આજે અમદાવાદમાં આવેલ અપંગ માનવ મંડળ ખાતે યોજાઈ હતી. આ સાર્થક પ્રયાસ દ્વારા અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકોને 100 વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારતભરમાં 500 વ્હીલચેર દાન કરવાના FIAના વ્યાપક સંકલ્પની શરૂઆત થઈ છે. બાકીની 400 વ્હીલચેર અન્ય રાજ્યોમાં વિતરિત કરવામાં આવશે. જે દેશભરના દિવ્યાંગ બાળકોની ગતિશીલતા, સ્વતંત્રતા અને ગૌરવ વધારવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમ FIA ના ચેરમેન અંકુર વૈદ્ય તેમજ પ્રતિષ્ઠિત દાતાઓ અને સંસ્થાના અન્ય અગ્રણીઓની ગરિમામય હાજરીમાં સંપન્ન થયો હતો. જોય ઓફ ગિવિંગ પહેલ જેની કિંમત 20 લાખ રૂપિયા છે. તે FIAના 2026 ના પ્રમુખ 2026 શ્રીકાંત અક્કાપલ્લી, વૈદ્ય પરિવાર અને FIA બોર્ડ મેમ્બર કેની દેસાઈ, FIA બોર્ડ મેમ્બર અનિલ બંસલ, FIAના વાઇસ પ્રેસિડેન્ટ પ્રીતિ પટેલ અને FIAના 2025ના પ્રમુખ સૌરિન પરીખ સહિતના પ્રતિષ્ઠિત દાતાઓના ઉદાર સમર્થનથી શક્ય બની હતી. કારણ કે દરેક બાળક આગળ વધવાને લાયક છે ના શક્તિશાળી સંદેશ હેઠળ હાથ ધરવામાં આવેલ આ કાર્યક્રમ શારીરિક પડકારો ધરાવતા બાળકો માટે સુલભતા, સર્વસમાવેશકતા અને સમાન તકોના મહત્વ પર ભાર મૂકે છે. આ પહેલ અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતા FIA ચેરમેન અંકુર વૈદ્યએ જણાવ્યું હતું કે, અપંગ માનવ મંડળની અમારી મુલાકાત ખરેખર પરિવર્તનકારી રહી છે. આ અસાધારણ વિદ્યાર્થીઓની મક્કમતાએ અમને હિંમત અને દ્રઢતાના અમૂલ્ય પાઠ શીખવ્યા છે. FIA આવા માનવતાવાદી અભિયાનો ચાલુ રાખવાનું વચન આપે છે અને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે એક વધુ સમાવેશી સમાજના નિર્માણમાં અમે અડગ ભાગીદાર રહીશું. અપંગ માનવ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ ક્ષિતિશ મદનમોહને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઉમદા કાર્ય માટે FIA સાથે ભાગીદારી કરીને અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. FIA અને તેના દાતાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આ ઉદારતા અમારા બાળકોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. આ સાથે જ તેમણે મહેમાનોને પરંપરાગત દીપ પ્રજ્વલન વિધિ દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કર્યા હતા. અપંગ માનવ મંડળના જનરલ સેક્રેટરી ડો. કમલ સી. શાહે આભારવિધિ કરતા ખૂબ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અપંગ માનવ મંડળ અને જે બાળકોના જીવનમાં આનાથી કાયમી પરિવર્તન આવવાનું છે તે તમામ વતી, અમે FIA, અંકુર વૈદ્ય અને તમામ પ્રતિષ્ઠિત દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જેમણે આ પહેલને શક્ય બનાવી છે. આ પહેલ FIA ની 2026ની થીમ હાર્મની ઇન હેરિટેજ સાથે સુસંગત છે. જે ભારતીય ડાયસ્પોરાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન, FIA વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં 'ડાન્સ પે ચાન્સ', આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, બિહાર દિવસ, ઓડિશા સ્થાપના દિવસ, ગુજરાત-મહારાષ્ટ્ર દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટાઇમ્સ સ્ક્વેર ખાતે ધ્વજવંદન સાથેની 'ઇન્ડિયા ડે પરેડ', સિપ્રિયાની વોલ સ્ટ્રીટ ખાતે 'ભારત બિયોન્ડ બોર્ડર્સ' ગ્રાન્ડ ગાલા, અને દિવાળી સૂપ કિચન જેવા ગરિમામય કાર્યક્રમો પણ યોજાય છે.

25 C