SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

નોકરીની સુવર્ણ તક:NITમાં ઓફિસરની ભરતી થશે, પગાર રૂ. 2 લાખ સુધીનો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાઉરકેલા દ્વારા નોન-ટીચિંગ સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાઇબ્રેરિયન, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સાયન્ટિફિક ઓફિસર જેવી કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો ઉચ્ચ વય મર્યાદા ધરાવે છે તેમના માટે આ સુવર્ણ તક છે, કારણ કે લાઇબ્રેરિયન પદ માટે વય મર્યાદા 56 વર્ષ સુધી રાખવામાં આવી છે. પદ મુજબ લાયકાતમાં માસ્ટર્સ ડિગ્રી, BE/B.Tech અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવ જરૂરી છે. પસંદગી પામનાર ઉમેદવારોને પે-લેવલ મુજબ માસિક રૂ. 56,100 થી રૂ. 2,18,200 સુધીનો આકર્ષક પગાર મળશે. રસ ધરાવતા ઉમેદવારો 19 ફેબ્રુઆરી 2026 સુધી સત્તાવાર વેબસાઇટ www.nitrkl.ac.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આયુષમાં ફ્રેશર પાસેથી અરજી મંગાવા આવીઆયુષ મંત્રાલય દ્વારા યંગ પ્રોફેશનલના 6 પદો માટે લાયક ઉમેદવારો પાસે અરજી મંગાવાઈ છે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 40,000 ફિક્સ પગાર અપાસે. વય મર્યાદા 1 જુલાઈ, 2026ના રોજ ઉમેદવારની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ભરતી માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech, MBA કે સમકક્ષ ટેકનિકલ ડિગ્રી. માસ્ટર્સ, M.Phil, PhD કે અનુભવી ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. હિન્દી અને અંગ્રેજી લેખન કૌશલ્ય સાથે કોમ્પ્યુટર ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ નિમણૂક એક વર્ષ માટે છે તેમજ કામગીરી આધારને ધ્યાને રાખીને સમયગાળો લંબાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:44 am

સિક્યુરિટી એજન્સીના ટેન્ડરમાં કૌભાંડ:VNSGUના સિક્યુરિટી ટેન્ડરમાં મોટો ખેલ, માનીતાને કામ સોંપવા શરતોના છેદ ઉડાવાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સીના ટેન્ડરમાં મોટું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીની સુરક્ષા માટે અત્યંત કડક અને ફરજીયાત શરતો રાખવામાં આવતી હતી, પરંતુ આ વખતે નજીકના અને ઓળખીતાઓને લાભ પહોંચાડવાના હેતુથી મહત્વની તમામ શરતોને જાણબૂઝીને કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડરની કિંમતમાં વધારો કરાયો હોવા છતાં સુરક્ષામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. યુનિવર્સિટીમાં નિયમ મુજબ 76 ગાર્ડ, 3 સુપરવાઇઝર અને 3 ગનમેન હોવા જોઈએ. સુપરવાઇઝર એક્સ-સર્વિસમેન અને ગ્રેજ્યુએટ હોવાની સ્પષ્ટ શરત છે. પરંતુ નવી એજન્સી પાસે 50% સ્ટાફ પણ નથી. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગર્લ્સ હોસ્ટેલ બહાર છેલ્લા 4 દિવસથી એકપણ ગાર્ડ તહેનાત નથી. જો કોઈ અઘટિત ઘટના ઘટે તો તેની જવાબદારી કુલપતિ, રજીસ્ટ્રાર કે ટેન્ડર કમિટીમાંથી કોણ લેશે? તેવો પ્રશ્ન ઉઠ્યો છે. સુરત NSUI અને યુથ કોંગ્રેસે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યો છે કે નિયમ અનુસાર દરેક ગાર્ડ પાસે PSARA સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ, પોલીસ વેરિફિકેશન, LC, આધારકાર્ડ અને બેંક વિગતો ફરજીયાત હોવી જોઈએ. આ દસ્તાવેજો વિના કોઈ પણ ગાર્ડને ફરજ પર મુકવાનો કાયદેસર અધિકાર નથી, તેમ છતાં આ શરતોનું પાલન કર્યા વિના જ આશ્ચર્યજનક રીતે ટેન્ડર ફાળવી દેવાયું છે. પહેલી વખત GeMથી ટેન્ડર બહાર પાડ્યુંઆ સમગ્ર વિવાદ અંગે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.આર.સી. ગઢવી કહે છે કે અમે નિયમ અનુસાર જ ટેન્ડર પ્રક્રિયા કરી છે અને નિયમમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા નથી. પહેલા યુનિવર્સિટીની વેબસાઇટ પર ટેન્ડર ઇશ્યુ કરતા હતા, પણ હવે સરકારના નિયમને જોતા GeM પોર્ટલથી ટેન્ડર બહાર પાડ્યું છે. ઉપરાંત નવી એજન્સીની નવી લેટેસ્ટ ફેસેલિટીનો લાભ યુનિવર્સિટીને મળે તે પણ જરૂરી છે. અમે જૂની અને નવી ટેન્ડરની શરત જેવી બાબતોની ફાઇલ દેખાડવા પણ તૈયાર છીએ. આ છ મહત્વની શરતો હટાવી દેવામાં આવી

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:43 am

નશાની હાલતમાં ગંભીર અકસ્માત:મોટાવરાછામાં નશામાં ધૂત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કારથી બે બાઈકચાલકોને ઉડાવ્યા

શહેરના મોટાવરાછામાં દુખીયા દરબાર પાસે ગુરુવારે મોડીરાતે દારૂના નશામાં કાર ચલાવી રહેલા ઈન્ફ્લુએન્સર હિરેન બુહાએ બે બાઈકચાલકોને ઉડાવી દીધા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો. ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ ઈન્ફ્લુએન્સરને બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. બીજીતરફ બન્ને બાઇકચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને બાઇકને નુકસાન થયું હતું. બન્ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે બાદમાં બન્ને બાઇકચાલકોએ ફરિયાદ કરવાને બદલે સમાધાન કરી લીધું હતું. આથી ઉત્રાણ પોલીસે જાતે ફરિયાદી બની ઈન્ફ્લુએન્સર હિરેન હકા બુહા (28) (મૂળ રહે,ગોપાલગામ, જુનાગઢ)ની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે તેની કાર અને દારૂ સહિત 10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જાહેરાતની રીલ બનાવવા સુરત આવ્યો હતોજુનાગઢનો ઈન્ફ્લુએન્સર હિરેન બુહા દર મહિને બે વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વીડિયો બનાવવા આવ્યો હતો. આ પહેલાં તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો હતો. જ્યાં તેણે રીલ બનાવ્યું હતું. દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બુહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી. દારૂ પીધેલી મસ્તીનો વીડિયો બન્યો ચર્ચાનો વિષયઈન્સ્ટાગ્રામ પર 7 લાખ ફોલોઅર્સ ધરાવતા હિરેન બુહાએ સોશિયલ મીડિયામાં મિત્ર સાથે દારૂ પીધેલો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો જોઈ તેના એક મિત્રએ પૂછ્યું કે, “કેમ ભાઈ, લાંબો પડી ગયો છે ?” ત્યારે ઈન્ફ્લુએન્સરે જવાબ આપ્યો કે, “હવે પૂરું થઈ ગયું ભાઈ.” અન્ય વીડિયોમાં મિત્રએ ઈન્ફ્લુએન્સરને કહ્યું હતું કે, “એ મોટા, એક વાત કરું ?” જેથી ઈન્ફ્લુએન્સરે “કે. કે” પછી મિત્રએ કહ્યું કે “પી ગયા પછી મોરે મોરો જાય” એના જવાબમાં ઈન્ફ્લુએન્સરે કહ્યું કે, “તારી વાત બધી સાચી છે, અત્યારે થોડું પાણી નાખ, કોરે કોરો જાય.”

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:40 am

માતાજીને વિશિષ્ટ શૃંગાર તેમજ 56 ભોગ ધરાવાયા:માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વરાછા ઉમિયાધામમાં નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ

ઉમિયા પ્રાગટ્ય દિવસ નિમિત્તે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વરાછા ઉમિયાધામ મંદિર ખાતે સુરતમાં રહેતા કડવા પાટીદાર સમાજના જુદા જુદા ગ્રુપનો પદયાત્રા સંઘ ઉમિયાધામ પહોંચ્યા હતા. મુખ્ય શોભાયાત્રા લાલ દરવાજાથી પ્રારંભ કરીને વરાછા ઉમિયાધામ પહોંચી હતી. 11 જેટલા પદયાત્રા સંઘ ઉમિયાધામ મંદિર પહોંચ્યા હતા અને માતાજીના પૂજન-અર્ચન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ જશવંત પટેલ, મંત્રી રાજુ પટેલ સહિત હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.નવચંડી યજ્ઞ અને માતાજીને વિશિષ્ટ શૃંગાર તેમજ 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા.ધવજારોહણ બાદ સામુહિક આરતી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:35 am

વેસુ શ્યામ મંદિરનો પાટોત્સવ યોજાયો:પીળા ફૂલોથી બાબાનો દરબાર શણગારાયો

વીઆઈપી રોડ વેસુ ખાતે શ્રીશ્યામ મંદિર, સુરતનો નવમો પાટોત્સવ વસંત પંચમીના શુભ અવસરે શુક્રવારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે મંદિરના પ્રાંગણને સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો વિવિધ પ્રકારના પીળા ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ તેમને પીળા વસ્ત્રો (વાઘા) ધરાવવામાં આવ્યા હતા. પાટોત્સવ નિમિત્તે સવારે સાત વાગ્યાથી મંદિરમાં પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે બાબાને રાજભોગ અને છપ્પન ભોગ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠનું વાચન કરવામાં આવ્યું હતું. વસંત પંચમી પર બાબાના મનોહર શ્રૃંગારના દર્શન માટે ભક્તોની લાંબી કતારો મોડી રાત સુધી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:35 am

મહત્વનો નિર્ણય:કઠોદરામાં 8 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય

શહેરમાં સમાવિષ્ટ કઠોદરા વિસ્તારમાં આવેલી એમનીટીઝ સ્પેસની ખાલી જગ્યામાં પાલિકાએ કોમ્યુનિટી હોલ બનાવવાની મંજૂરી આપી છે. અંદાજે ₹8.57 કરોડના ખર્ચે તૈયાર થનારો આ હોલ સ્થાનિક લોકોના સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી ધારણા છે. કઠોદરા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વસ્તીમાં મોટો ઉછાળો આવ્યો છે. મધ્યમ વર્ગીય પરિવારોને ખાનગી વાડીઓ કે હોલના મસમોટા ભાડા ન ચૂકવવા પડે તે હેતુથી પાલિકાએ આ સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું છે. આ હોલમાં પાર્કિંગ, ડાઈનિંગ એરિયા અને આધુનિક ઈલેક્ટ્રિફિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. બિલ્ડિંગથી લઈને સીસીટીવી સુધીનું આયોજન પાલિકા દ્વારા તૈયાર કરાયેલા અંદાજ મુજબ, આ પ્રોજેક્ટમાં માત્ર બિલ્ડિંગના બાંધકામ પાછળ જ ₹4.75 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:34 am

બિલ્ડરોની પાલિકાને રજૂઆત:‘માત્ર કન્સ્ટ્રક્શન સાઈટ જ પ્રદૂષણ નથી કરતી, સરકારી પ્રોજેક્ટોને પણ દંડ કરો’

શહેરમાં વધતા પ્રદૂષણને રોકવા માટે પાલિકાએ કન્સ્ટ્રક્શન સાઈટ સામે દંડની કાર્યવાહી તેજ કરી છે. જેથી બિલ્ડરો અકળાયા છે. તેમનું કહેવું છે કે, ‘પાલિકા માત્ર ખાનગી બિલ્ડરોને ટાર્ગેટ કરે છે, સરકારી પ્રોજેક્ટો અને મોટા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાતા નથી.’ બિલ્ડર એસોસિયેશનના જણાવ્યા મુજબ, શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ, સરકારી બિલ્ડિંગો અને પાલિકાનાં વિકાસ કામો મોટા પાયે ચાલી રહ્યાં છે. આ સાઈટો પર ઘણી વખત ગ્રીન નેટ, ડસ્ટ કંટ્રોલ અને પાણીના છંટકાવ જેવી નિયમિત વ્યવસ્થા હોતી નથી છતાં પાલિકા તેમને દંડ ફટકારતી નથી. હાલ બિલ્ડરો માટે બાંધકામની પિક સિઝન છે. ચોમાસા પહેલાં બેઝમેન્ટ અને સ્ટ્રક્ચરલ કામ પૂરું કરવું જરૂરી છે. આ સ્થિતિમાં દંડથી પ્રોજેક્ટ ખર્ચ વધે છે અને કામમાં વિલંબ થાય છે. ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગો પણ પ્રદૂષણ ફેલાવે છે છતાં તેમની સામે અસરકારક કાર્યવાહી થતી નથી. નિષ્ણાતોના મતે કન્સ્ટ્રક્શન સેક્ટર માત્ર 3 ટકા પ્રદૂષણ કરે છે છતાં સૌથી વધુ કાર્યવાહી થાય છે. સરકારી કોન્ટ્રાક્ટરો, મેટ્રો પ્રોજેક્ટ અને ઉદ્યોગો સામે પણ સમાન કાર્યવાહી કરે તે જરૂરી છે. બિલ્ડરો સ્થિતિ સમજે તે પહેલાં જ આક્રમક કાર્યવાહીક્રેડાઈ પ્રમુખ જીજ્ઞેશ પટેલે કહ્યું કે, ‘ગાઈડ લાઈન બનાવવામાં સુરત ક્રેડાઈએ મદદ કરી હતી. બિલ્ડરોને સમજણ આપવા સેમિનારોનું પણ આયોજન કર્યું હતું, પરંતુ બિલ્ડરો હજી સમજી શકે તે પહેલાં જ પાલિકાએ બિલ્ડરોને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે, જે અયોગ્ય છે.’

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:32 am

સિટી એન્કર:આજથી 26 જાન્યુઆરી સુધી સરસાણામાં ફૂડ બેવરેજીસ એક્સપો 500 ફૂડ આઈટમ 33%થી 50% સુધીના ડિસ્કાઉન્ટ પર માણી શકાશે

ચેમ્બર ઓફ કોમર્સ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર 24થી 26 જાન્યુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્સપોનું આયોજન કરશે, જેમાં એન્ટ્રી ફ્રી છે. એક્સપોમાં 500થી વધુ ફૂડ આઈટમન મુકવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ નીખીલ મદ્રાસીએ કહ્યું હતું કે, આ એક્સપોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે 500થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે. જેમાં 33 ટકાથી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ વિવિધ સ્ટોલ ધારકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી 156 એકિઝબિટર્સે ભાગ લીધો છે. ’ ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ માટેના રોબોટ્સ પણ જોવા મળશેચેમ્બરના કિરણ ઠુંમરે કહ્યું કે, ‘અદ્યતન રોબોટ પણ મુકાશે, જે આપોઆપ બોટલોને ઉઠાવીને બોકસમાં ગોઠો છે, જેથી ઉત્પાદન ઝડપી બની ચોકસાઈ વધે છે. આ મશીનરી ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ માટે મહત્ત્વની છે.’ ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસ માટેની પ્રોડક્ટ મુકાશેએક્સપોના ચેરમેન કે.બી. પિપલિયાએ કહ્યું કે, ‘ઓર્ગેનિક મોરિંગા લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્‌સ તથા ટેબ્લેટ્‌સ જેવી મુખ્ય પ્રોડકટ હશે, જેનાથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસ લાવે છે.’ ઇન્સ્યુરન્સ, ફાયનાન્શિયલ સોલ્યુશન, મશીનરી પણ હશેચેમ્બર ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, ‘ફૂડ પ્રોસેસિંગ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ એન્ડ રેફ્રિજરેશન, વેર હાઉસિંગ-કાર્ગો હેન્ડલિંગ, ફૂડ ટેસ્ટિંગ લેબ, ઇન્સ્યુરન્સ એજન્સી, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફૂડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ વગેરે પ્રદર્શનમાં મુકવામાં આવશે. ’

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:29 am

ભાસ્કર એક્સક્લુસિવ:મેટ્રો ટ્રેનમાં લઘુતમ ભાડું 10 અને મહત્તમ 40 રૂપિયા રાખવા પ્રસ્તાવ, દર 4થી 8 મિનિટે ટ્રેન મળી રહેશે

આ વર્ષના અંત સુધીમાં કે 2027ની શરૂઆતમાં મેટ્રો દોડતી થઈ જશે. GMRCએ લોન્ચિંગની તૈયારી પણ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ મેટ્રોના ભાડા અને ટ્રેનની ફ્રિક્વન્સી પર વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. પ્રારંભિક દરખાસ્ત મુજબ લઘુતમ ભાડું ₹10 નક્કી કરાયું છે, જ્યારે મહત્તમ ₹40 જેટલું રહેશે. દર 4થી 8 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. પિક અવર્સ દરમિયાન મુસાફરોનો ટ્રાફિક વધતાં ટ્રેનોની ફ્રિક્વન્સી પણ વધારાશે. કુલ 40.35 કિમીના રૂટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ડ્રીમ સિટીથી કાદરશા નાળ સુધીના 9 ક્મીના કોરિડોર પર સિવિલ વર્ક 93 ટકા થઈ ગયું છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રાયલ રન હાથ ધરશે. આ પહેલાં ભાડાં નક્કી કરવા ચર્ચા ચાલી રહી છે અને એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે. મેટ્રો ભાડા સ્લેબ પર અંતિમ નિર્ણય GMRC બોર્ડ અને રાજ્ય સરકારના સ્તરેથી લેવામાં આવશે. મેટ્રોનું CBTC (કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ) સિસ્ટમથી સુરક્ષિત અને સરળ સંચાલન કરાશે. ડિજિટલ ટિકિટિંગ માટે QR કોડ અને NFC જેવી ટેકનોલોજીનો પણ વિચાર કરાઈ રહ્યો છે. ફ્રિકવન્સી ટ્રાફિક-ક્ષમતા મુજબ નક્કી કરાશેમુસાફરની સુવિધા માટે મેટ્રો ટ્રેન સવારે 5થી રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવાનો પ્રસ્તાવ છે. પિક અવર્સ દરમિયાન ટ્રેનો દર 4થી 8 મિનિટે દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ફ્રિક્વન્સી મુસાફરોના ટ્રાફિક, કાર્યકારી ક્ષમતા અને ખર્ચના આધારે નક્કી કરવામાં આવશે. કામગીરી શરૂ થાય તે પહેલાં અંતિમ સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. પ્રસ્તાવિત ભાડા અમદાવાદ કરતાં ભાડાં વધુ હોવાથી ફેરફાર શક્યઅધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓપરેટિંગ વિભાગની રચના પછી અંતિમ ભાડા સ્લેબ નક્કી કરાશે. ભાડા સ્લેબ શરૂઆતમાં સ્થાપિત કરાયા છે. ઓપરેટિંગ વિભાગની રચના પછી મુસાફરોની સંખ્યા, સંચાલન ખર્ચ, વીજળી અને જાળવણી ખર્ચ અને સરકારી સબસિડી જેવા પરિબળોના આધારે ભાડામાં ફેરફાર કરાશે. દરખાસ્તમાં અમદાવાદ મેટ્રો કરતાં સુરત મેટ્રો માટે વધુ ભાડું સૂચવવામાં આવ્યું છે, જેથી સ્લેબ ઘટાડી શકાય છે. લાંબા અંતરની મુસાફરી કરનારને ફાયદોપ્રસ્તાવિત ભાડા સ્લેબ મુજબ, લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ફાયદો થશે. એકથી ત્રણ સ્ટેશન વચ્ચે મુસાફરી કરવા માટે ₹૧૦નો ખર્ચ થશે, જ્યારે ૨૦ કે તેથી વધુ સ્ટેશનોની મુસાફરી માટે ફક્ત ₹૪૦નો ખર્ચ થશે. ઓટો-રિક્ષા અને ખાનગી વાહનોની તુલનામાં મેટ્રોને વધુ સસ્તું વિકલ્પ બનાવવા માટે અંતરના આધારે આ ભાડું નક્કી કરવામાં આવી રહ્યું છે. જોકે, સુરત મેટ્રોના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ દરખાસ્ત માટે ફક્ત પ્રારંભિક વિચારણા છે. ઓપરેટિંગ વિભાગ રચાયા પછી ભાડા માળખા પર નવો નિર્ણય લેવાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:26 am

પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ:વાંકાનેર-મોરબી હાઇવે પર વાહનચાલકોને સલામતી - સુરક્ષાના પાઠ પોલીસે શીખવ્યા

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટુ-વ્હીલર વાહનચાલકો માટે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમને હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી હતી જેમાંથી કેટલાક વાહન ચાલકોને સ્થળ પર જ પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સાથે જ ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરલ હોય તેમને અધિકારીઓ દ્વારા ગુલાબના ફુલ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહીથી હાઇવે પર અકસ્માતોમાં ઘટાડો લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ટ્રાફિક પોલીસની કડક કામગીરી ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. આ ડ્રાઈવમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ મોરબી વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગ, ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ધેલા , પોલીસ ઇન્સ્પેકટર વી.એન. પરમાર બી ડીવી, એસ.કે. ચારેલ મોરબી તાલુકા, એચ.એ. જાડેજા વાંકાનેર સીટી, બી.વી. પટેલ વાંકાનેર તાલુકા તેમજ મોરબી આર.ટી.ઓ અધિકારી તપન બી. મકવાણા વિગેરે અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:13 am

લાભાર્થીઓ લાભથી વંચિત થયા:મોરબીના દલવાડી સર્કલ પાસે બનાવવામાં આવેલા આવાસો લોકાર્પણ થાય તે પહેલાં જ ખખડી ગયા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ આશરે નવેક વર્ષ પહેલા બનાવેલા 500 થી વધુ આવાસોની હજુ સુધી લાભાર્થીઓને સોંપણી કરાઈ ન હોવાની ઘણી જ દુઃખદ બાબત છે. એનાથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે, નવેક વર્ષથી પડતર હાલતમાં રહેલા આ આવાસોનું લોકાપર્ણ થાય એ પહેલાં જ ખંડિત થઈ ગયા છે. એટલે એમાં રહેવું જોખમકારક હોય યોગ્ય રીપેરીંગ કરીને લાભાર્થીઓને સોંપવાની આજે આવી રહેલા મુખ્યમંત્રી સમક્ષ આપના આગેવાન દ્વારા લાભાર્થીઓને સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે મોરબીના શ્રમજીવી પરિવારો અને આર્થિક રીતે નબળા પરિવારોને 2 રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે સરકારી યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે મકાનો બનાવવામાં આવ્યા હતા અને જો કે, હજુ સુધી કામ સો ટકા પૂર્ણ કરવામાં આવ્યું નથી અને લાભાર્થીઓને મકાનનો કબ્જો આપવામાં આવ્યો નથી. છેલ્લા 9 વર્ષથી આ મકાન પડતર હાલતમાં છે અને સરકારી ગ્રાન્ટ રૂપે પ્રજાના રુપિયાનું પાણી કરવામાં આવ્યું છે આટલું જ નહીં આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર લાભાર્થીઓને કવાર્ટરની સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. હજુ 6 માસ બાદ લાભાર્થીઓને આવાસો સોંપાશે આપના નેતાની રજુઆત સામે મનપાના આવાસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના કામધેનુ બાયપાસ પાસે દલવાડી સર્કલ નજીક સરકારી જગ્યામાં ઘર વિહોણા લોકો માટે 608 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસનો ડ્રો 22,3,2021માં કરવામાં આવ્યો હતો અને આ આવાસોના લાભાર્થીઓની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. તેથી 608 અધૂરા રહેલા આવાસોનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલે આ અધૂરા કામ પૂરા કરવામાં હજુ 6 માસનો સમય લાગશે. પછી જ લાભાર્થીઓને એ મકાનો સોંપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:11 am

આપઘાતનો મામલો આવ્યો સામે:મોરબીના ઘૂટુંમાં યુવાને ફાંસો લગાવી આપઘાત કરી લીધો

મોરબીના ઘૂટું ગામ નજીક આવેલી ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા એક યુવાને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતમ મુજબ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા ઘૂટું રોડ પર આવેલા ઓરીન્ડા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના શીખરધાટી ગામના યુવાન ધાંગા જીગલા મારંડી નામના યુવાને કોઈ કારણસર લેબર કોલોનીમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવમાં યુવકને તબીબે મૃત જાહેર કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો બનાવ અગ્ને તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી કાયદેરસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:10 am

જુગારીઓ રંગે હાથ ઝડપાયા:મોરબીમાં જામ્યો વરલી મટકાનો ખેલ, LCBએ 5 શખ્સને દબોચ્યા

મોરબી ના ઇન્દિરા નગર નજીક ખારોપાટ વિસ્તારની નજીક આવેલા કારખાનાના પાછળના ભાગમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા જગદીશ જોશી, પ્રકાશ વરાણીયા, સુનિલ ધીરુભાઈ સુરેલા મનીષ રાજુભાઈ સુરેલા સંજય અવચર ભાઈ ઝંઝવાડીયા અને મનોજગર ગોસાઈને ઝડપી લીધા હતા ને તેઓ પાસેથી રૂપિયા ૩૨ હજાર રોકડા ના જુગારનું સાહિત્ય જ કરી તમામ વિરુદ્ધ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી ડિવિઝન પોલીસ મથક હવાલે કર્યા હતા

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:09 am

ઠગાઈ:મોરબીમાં લોન લીધાનું છુપાવી ફ્લેટ‎ વેચવાના નામે વૃદ્ધને 14 લાખનો ધૂંબો‎

મોરબીમાં ફ્લેટના વેચાણની ઓએલએક્સ ઉપર જાહેરાત મુકતાં એક વૃદ્ધ અને તેના પરિવારજનો તે ફ્લેટ લેવા તૈયાર થતા જ એક મહિલા સહિત ત્રણ શખ્સોએ અગાઉથી જ આ વૃદ્ધને ફ્લેટ વેચવાના નામે શિશામાં ઉતારી લાખો પડાવી લેવાનો પ્લાન ઘડ્યો હતો. મોરબીના ગ્રીનચોક પાસે આવેલ નાની હનુમાન શેરીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉ.વ.68) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઠગબાજો પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ શનાળા રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પાર્થ મહેતાએ ફોન ઉપર ઓએલએક્સ એપ્લિકેશનમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકી હતી. આ જાહેરાત જોઈને વૃદ્ધ અને તેનો પરિવાર એ ફ્લેટ લેવા તૈયાર થઈ ગયો હતો. આથી ત્રણેય ઠગબાજોએ અગાઉથી આ વૃદ્ધને ફ્લેટ વેચવાના નામે લાખો ખંખેરી લેવાનું કાવતરું ઘડ્યું હતું. એ મુજબ તેઓને વિશ્વાસમાં લઈને આરોપી હીનાબેન મહેતાના નામના પ્લેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હોય જે રેકોર્ડ ઉપર હોવા છતાં તેની વિગતો છુપાવી આરોપીઓએ 50 લાખમાં ફ્લેટ વેચવાનું કહેતા બન્ને વચ્ચે રકઝક બાદ અંતે રૂ.41.25 લાખમાં સોદો થયો હતો.જેથી 11 હજાર રોકડ ટોકન આપી બાદમાં 3,90,000 અને 10 લાખનો ચેક મળી 14 લાખ રૂપિયા ચૂકવી સાટાખત નોટરી કરાવ્યું હતું. આ રીતે વૃદ્ધ તથા તેના પરિવારને ફ્લેટ વેચાણ અંગે ખોટો સાટાખત કરી આપી તેની અવાજમાં લાખોની રકમ મેળવી વિશ્વાસમાં લઈને બાદમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરાઇ હતી. આ અંગે વૃદ્ધે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાને ઝડપી લીધો હતો. આ ટોળીએ તેમના જ એપાર્ટ.માં રહેતા એક પરિવારને એ જ ફ્લેટ વેચ્યો હોવાનું સામે આવતાં વધુ એક ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:08 am

ભાસ્કર રિયાલીટી ચેક:કુકમા ટોલ પ્લાઝા પર ‘પરીક્ષણ’ના નામે પરેશાની

કચ્છમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરવી હવે મોંઘી અને માથાનો દુખાવો બની રહી છે. કુકમા અને વરસામેડી ટોલ પ્લાઝા શરૂ થતાં હવે જિલ્લામાં ટોલ પ્લાઝાની સંખ્યા અધધ 7 પર પહોંચી ગઈ છે. નવા શરૂ થયેલા પ્લાઝા પૈકી વરસામેડી પર ટેક્સ વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સૌથી ચોંકાવનારી સ્થિતિ કુકમા ટોલ પ્લાઝા પર જોવા મળી છે. દિવ્ય ભાસ્કરે જ્યારે કુકમા ટોલ પ્લાઝા પર રિયાલિટી ચેક કર્યું ત્યારે ગંભીર અવ્યવસ્થા જોવા મળી હતી. અહીં સત્તાવાર રીતે ટોલ લેવાતો નથી, માત્ર સિસ્ટમનું ‘પરીક્ષણ’ ચાલી રહ્યું છે. તેમ છતાં, વાહનચાલકોને સરેરાશ 3થી 5 મિનિટ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગે છે અને સમયનો વ્યય 5 મિનિટ સુધી પહોંચી જાય છે. વારંવાર વાહનો રોકવાને કારણે ભારે શોરબકોર અને વાહનોના હોર્નથી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકની વ્યથા : ‘કહેવા છતાં જવા નથી દેતા’‘હું અંજારથી ભુજ તરફ જઈ રહ્યો હતો. કુકમા ટોલ પર મને રોકવામાં આવ્યો અને કહેવાયું કે કાર થોડી પાછળ લો, પછી કહ્યું આગળ લો. આમ આગળ-પાછળ કરાવ્યા બાદ પણ તેમના કેમેરામાં ખામી હોવાથી ફાસ્ટેગ કેપ્ચર થતું નહોતું. અંદાજે બે મિનિટ સુધી રકઝક ચાલી. મેં કહ્યું કે મારે એક પ્રસંગમાં જવાનું છે, મોડું થાય છે, છતાં જવા ન દીધો. જો માત્ર પરીક્ષણ જ હોય તો રોજ એક-એક લાઇનનું ટેસ્ટિંગ કરવું જોઈએ, બધાને હેરાન ન કરાય.’ > કપીલ પરમાર, વાહનચાલક તંત્રનો જવાબ : ‘કેમ વાર લાગે છે તે ચેક કરીશું’‘કુકમા ખાતે હાલ ફાસ્ટેગ સિસ્ટમનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વરસામેડી ટોલ કનેક્શન ચાલુ છે. કુકમામાં હજુ સુધી ટોલ કલેક્શન શરૂ કરાયું નથી. જોકે, પરીક્ષણ દરમિયાન વાહનચાલકોને લાઈનમાં વધારે વાર કેમ ઊભું રહેવું પડે છે, તે બાબતે તપાસ કરીને યોગ્ય કરીશું.’ > અજય સ્વામી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, NHAI

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સિટી એન્કર:વર્ગખંડોમાં એરકુલર, આરઓ પાણીનું પણ સમયાંતરે પરીક્ષણ અને સરકારી યોજનાઓનો 100 ટકા ઉપયોગ કરતી હાઇસ્કુલ

ભુજ તાલુકાના આહિરપટ્ટી વિસ્તારમાં આવેલી સરકારી રાયધણપર હાઈસ્કૂલ વર્ષ 2025-26 માટે ગ્રામ્ય કક્ષાએ કચ્છ જિલ્લાની ‘શ્રેષ્ઠ શાળા’ તરીકે પ્રથમ ક્રમાંક મેળવીને શાળાએ સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી પ્રસરાવી છે. શાળાના પ્રિન્સિપાલ શિવુભા ભાટીએ જણાવ્યું હતું કે, શાળાના મૂલ્યાંકન માટે નિયત કરાયેલા કુલ 150 ગુણમાંથી શાળાએ 104 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ પસંદગી માટે મુખ્યત્વે શાળાનું 100 ટકા પરિણામ, વિદ્યાર્થીઓની સરેરાશ 91 ટકા હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સરકારી યોજનાઓના 100 ટકા અમલીકરણ જેવા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. શાળામાં સમયાંતરે સેમિનારો, ઔદ્યોગિક ગૃહોની મુલાકાત , વ્યક્તિ વિશેષ સાથે સંવાદ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ક્યાંય ભટકવું ન પડે તે માટે શાળા દ્વારા જ તમામ કામગીરી કરી આપવામાં આવે છે. શાળાના ઈન્ચાર્જ આચાર્ય જ્યોતિબેન ગુંસાઈએ જણાવ્યું હતું કે, આચાર્ય શિવુભા ભાટીના નેતૃત્વમાં આ બીજી મોટી સિદ્ધિ છે. અગાઉ તેમના નેતૃત્વમાં વર્ષ 2018-19માં સરકારી હાઈસ્કૂલ-લોડાઈએ પણ શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક મેળવ્યું હતું. લોકભાગીદારીથી શાળામાં હાઈટેક સુવિધાઓ વિકસાવાઈસરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી થકી રાયધણપર હાઈસ્કૂલે સુવિધાઓમાં ખાનગી શાળાઓને પણ ટક્કર આપી છે. એક દાતાના સહયોગથી વર્ગખંડોમાં એરકુલર ગોઠવવામાં આવ્યા છે. ખાનગી કંપનીના સહયોગથી શાળા કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શાળામાં આર.ઓ. પ્લાન્ટની સુવિધા છે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી સમયાંતરે લેબોરેટરીમાં પાણીનું પરીક્ષણ પણ કરાવવામાં આવે છે. ગ્રામ પંચાયતના સહયોગથી શાળા સુધીનો પાકો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

હડતાલ:5 દિવસ વર્કિંગ ડે ના અમલીકરણની માંગ સાથે 27મીએ દેશવ્યાપી બેંક હડતાલ

દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તા.27ના મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપ્યું છે જેમાં દેશની વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં 5 દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહીનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નકકી થયુ હતુ. જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુકવાર સુધી પ્રત્યેક દિવસ 40 મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે. પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિનભાઈ ધોળકીયાએ જણાવવામાં આવ્યું છે. તેમણે વધુમા જણાવ્યું છે કે અઠવાડીયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો, એલ.આઈ.સી, રિઝર્વ બેન્ક, શેર બજાર, ફોરેકસ માર્કેટમાં હાલ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવેલ છે. દર શનિ રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહિ. કારણકે આજે નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો મોજુદ છે. આ બેંક હડતાલમાં રાજકોટના 1500, સૌરાષ્ટ્ર-કચ્છના 5500 સહિત ગુજરાતભરના 15000 જેટલા કર્મચારીઓ જોડાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:અબડાસા વિસ્તારની સીમમાં પવનચક્કી પરથી કિંમતી વાયર ચોરનાર ટોળકી પકડાઈ

અબડાસા તાલુકાના સિંધોડી,કમડ,હાદાપર કડુલી સીમમાં આવેલી પવનચક્કીઓ પરથી વાયર ચોરી કરનાર આઠ આરોપીને એલસીબીએ ઝડપી લીધા હતા. કોઠારા અને જખૌ મરીન પોલીસ મથકે નોધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી ૩.50 લાખના વાયર સહીત 16.50 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાની સુચનાથી ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે, હાદાપરનો ઇરફાન ફકીરમામદ સુમરા તથા તેરા ગામનો મોહમદશરીફ અબ્દુલગની મીયાજી તેમના અન્ય સાગરીતોની સાથે મળી ટોળકી બનાવી અબડાસા તાલુકા વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવન ચક્કીઓમાંથી કોપર કેબલની ચોરીઓ કરે છે અને હાલે આ ટોળકી પવનચક્કીઓમાંથી ચોરી કરેલ કોપર વાયર એક બોલેરો પિકઅપ ગાડીમાં તથા એક ટોયોટો કંપનીની રોમીઓન ગાડીમાં ભરી આરીખાણા ગામથી સાંયરા બાજુ આવી રહ્યા છે. બાતમીને આધારે તપાસ કરતા બન્ને ગાડીમાંથી આરોપી મોહમદશરીફ અબ્દુલગની મીયાજી, ઇરફાન ફકીરમામદ સુમરા, હાસમ અબ્દુલ ગઝણ, ઈકબાલ ઉર્ફે કારો મામદ સોઢા, લતીફ હાસમ સંગાર, રજાક ઇબ્રામ ગઝણ, ઇરફાન નુરમામદ સંગાર અને રીયાઝ અલીમામદ કુંભાર મળી આવ્યા હતા. આરોપીઓના કબ્જાની બન્ને ગાડીમાંથી ૩.50 લાખની કિંમતના 350 કિલો વાયર મળી આવ્યા હતા. જે બાબતે આરોપીની પૂછ પરછ કરતા આધાર પુરાવા ન હોવાનુ અને કડુલીના આરોપી ઇકબાલ ઇભલા સંગાર સાથે મળીને મોટી સિંધોડી, કમડ, હાદાપર, કડુલી સીમમાં આવેલ પવનચક્કીઓમાથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું.એલસીબીએ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. મોટી ખાખરના ઇસમે ચોરીનો માલ ખરીદી ભુજમાં વેચ્યોપૂછપરછ કરતા ચોરીનો અન્ય માલ અગાઉ મોટી ખાખરના રીયાઝ અલીમામદ કુંભારને વહેચ્યો હોવાનું જણાવ્યું હતું.તેમજ બાકી રહેલો મુદ્દામાલ લેવા માટે રીયાઝ પોતાની પીકઅપ બોલેરો ગાડીથી આવ્યો હતો.જે બાબતે પોલીસે આરોપી રીયાઝની પૂછપરછ કરતા અગાઉ ખરીદી કરેલ મુદ્દામાલ ભુજના આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભારને વહેચી દીધેલો હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

મુલાકાત:ડીડીઓએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને સમીક્ષા કરી

જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ (IAS)ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓ મજબૂત બનાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય, રિનોવેશન, કંપાઉન્ડ વોલ સહિતના વિકાસકાર્યો ચાલી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને સીડીપીઓ દ્વારા પણ નિયમિત દેખરેખ રાખવામાં આવે છે. તાજેતરમાં ભુજ, મુન્દ્રા અને લખપત તાલુકાની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોની સેવાઓ, બાળકો તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓના પોષણ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. ‘પોષણ ટ્રેકર’ એપમાં નોંધાયેલ ડિજિટલ ડેટાની પારદર્શિતા, બાળકોના આરોગ્ય અને પૂરક પોષણના વિતરણની પણ તપાસ કરાઈ હતી. આ મુલાકાતોથી પોષણ અને બાળ વિકાસ યોજનાઓને વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ભાસ્કર વિશેષ:દિલ્હી કર્તવ્ય પથ પર યોજાનારી પરેડમાં કચ્છનું ગૌરવ લહેરાવશે માંડવીની એનસીસી કેડેટ

માંડવી શહેર અને સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની NCC કેડેટ જાડેજા જિનલબા દિગ્વિજયસિંહની રાષ્ટ્રીય કક્ષાની પ્રજાસત્તાક દિન પરેડ માટે પસંદગી થવાથી જિલ્લાભરમાં આનંદની લાગણી પ્રસરી છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના અવસરે દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડમાં તેઓ દેશભરના પસંદગી પામેલા શ્રેષ્ઠ NCC કેડેટ્સ સાથે ભાગ લેશે. દર વર્ષે યોજાતી આ પ્રતિષ્ઠિત પરેડમાં સમગ્ર ભારતમાંથી માત્ર શિસ્ત, શારીરિક ક્ષમતા, નેતૃત્વ ગુણો અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે પસંદગી પામેલા કેડેટ્સને જ ભાગ લેવાની તક મળે છે. દેશના 17 NCC ડિરેક્ટોરેટ્સમાંથી કઠોર તાલીમ અને બહુસ્તરીય ચકાસણી બાદ થતી પસંદગીમાં જાડેજા જિનલબાનું સ્થાન મેળવવું એ તેમની મહેનત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NCC કેડેટ્સ સતત છઠ્ઠા વર્ષે રિપબ્લિક ડે કેમ્પ માટે પસંદગી પામી રહ્યા છે. આ સિદ્ધિ કોલેજની શિસ્તબદ્ધ તાલીમ, રાષ્ટ્રભક્તિપૂર્ણ વાતાવરણ અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શનની પરંપરાને દર્શાવે છે. આ વર્ષે પણ કોલેજના NCC વિભાગે કચ્છ જિલ્લાનું માન વધાર્યું છે. કોલેજના આચાર્ય તથા NCC લેફ્ટનન્ટ ડો. મહેશ બારડ, 36 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર વિકાસ પ્રભાકર અને એડમ ઓફિસર સંદીપ ખવાસના માર્ગદર્શન હેઠળ જાડેજા જિનલબા દિગ્વિજયસિંહે દિલ્હી ખાતે RDC કેમ્પમાં કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું છે. સતત પ્રોત્સાહન અને યોગ્ય તાલીમના કારણે આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ શક્ય બની હોવાનું જણાવાયું છે. જાડેજા જિનલબાની આ સિદ્ધિથી માંડવી કોલેજ પરિવાર, શહેર તેમજ સમગ્ર કચ્છમાં ગૌરવ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ પ્રસંગે કોલેજના મંત્રી, પ્રમુખ, કોલેજ પરિવાર, શુભેચ્છકો તથા નાની ખાખર રાજપૂત સમાજ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

રણમાંથી રોજગાર:રણોત્સવ સખી ક્રાફ્ટ બજારમાં એક મહિનામાં પાંચ કરોડથી વધુ વસ્તુઓનું વેચાણ

રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી રણોત્સવમાં આ વર્ષે 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન “સખી ક્રાફ્ટ બજાર”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રણોત્સવમાં આવેલા પ્રવાસીઓ માટે આ બજાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સખી ક્રાફ્ટ બજારમાં સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા હસ્તકલા અને ઘરઉપયોગી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ ડોમમાં 100 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બજારમાં અત્યાર સુધી ૫ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન છે. સાથે જ અત્યાર સુધી 4.5 લાખથી વધુ પ્રવાસીઓએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે. આ બજારમાં કુલ 330 સ્વસહાય જૂથોની મહિલાઓને અલગ-અલગ તબક્કામાં સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોની મહિલાઓ પણ જોડાઈ છે. અહીં હસ્તકળા, હાથવણાટ, માટીના વાસણો, પરંપરાગત જ્વેલરી, હોમ ડેકોર તેમજ પેકેજ્ડ ફૂડ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનનું અનોખું સંયોજન પ્રવાસીઓને ખાસ આકર્ષી રહ્યું છે. સખી ક્રાફ્ટ બજારને વધુ રોમાંચક બનાવવા લાઇવ સંગીત કાર્યક્રમો અને કાફેટેરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓ માટે આ બજાર યાદગાર અનુભવ બની રહ્યું છે. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા દર વર્ષે સખી મંડળની બહેનો માટે રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળા અને પ્રાદેશિક મેળાઓ યોજવામાં આવે છે. આ વર્ષે તેમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોલોમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, સ્વદેશી મેળા અને પ્રવાસન કાર્યક્રમોમાં પણ સખી મંડળોને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે તક આપવામાં આવી છે. રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપતું સફળ ઉદાહરણ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છના ગાયકોએ લોકગીતોની રમઝટ બોલાવી:કચ્છના સૂર અને મધ્યપ્રદેશના નૃત્યના તાલે જામી અનોખી સાંસ્કૃતિક જુગલબંધી

વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર ‘રેયાણ’ કાર્યક્રમમાં કચ્છના ગાયક અનિરુદ્ધ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી હતી, લોકસાહિત્યકાર અર્જુનદાન ગઢવીએ લોકવાર્તાઓ રજૂ કરી તેમજ ગાયિકા પૂજા પરમાર અને બાળ કલાકાર પ્રિયમ પોટાએ કચ્છી લોકગીતો અને ભજનોની રજૂઆત કરી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રૂપ, બંસીધર રાસ, સત્વ ડાન્સ એન્ડ યોગા સ્ટુડિયો, નૂપુર નૃત્ય, નૃત્યનાદ વિવિધ ગ્રૂપ દ્વારા પારંપરિક નૃત્યો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મોહનભાઇ પટેલ, રાજવી પરિવારના ઇન્દ્રજીતસિંહ, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, લોકસાહિત્યકાર લાલભાઈ રાંભીયા, લોહાણા સમાજના અગ્રણી ડો. મુકેશભાઇ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોનું અભિવાદન ઉપસ્થિત મહાનુભાવો તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, સી.ઈ.ઓ. રાજીવભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પી. આર., ઈવેન્ટ હેડ મહેશભાઇ ગોસ્વામીએ ઊભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે એલ.એલ.ડી.સી.નો મંચ હંમેશા અગ્રેસર રહ્યો હોવાનું જણાવ્યું હતું કે, કેટલાય કલાકારોએ આ મંચ પરથી આગળ વધીને નામના મેળવી છે તેનો રાજીપો છે. ફેસ્ટિવલમાં કચ્છની પ્રખ્યાત માટીકલા (પોટરી) ના કારીગરો અહીં આવતા મુલાકાતીઓ સમક્ષ આ કળાની લાઈવ પ્રસ્તુતિ કરીને કલા રસિકોને જોડી રહ્યા છે તો તેની સાથે કચ્છની વિખ્યાત બાંધણી અને અજરખ બ્લોક પ્રિન્ટિંગની પણ જીવંત પ્રસ્તુતિ સાથે લોકો જાતે નમુનાઓ બનાવીને ઓતપ્રોત થઈ રહ્યા છે. વિશેષમાં રાજસ્થાની જગમશહૂર કઠપૂતળીના ખેલ સતત પ્રસ્તુત થઈ રહ્યા છે. મેઇન સ્ટેજ પરથી આજે મધ્યપ્રદેશથી આવેલ નિમાડ ગ્રૂપ દ્વારા ધમાકેદાર પ્રસ્તુતિ કરી હતી. સંચાલન કપિલ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:તાપી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સૂચના

તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ગુરુવારે જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી પ્રજાપ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 13 અરજદારો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે પોતાની રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જમીન, આવક, માર્ગ, પાણી પુરવઠા, સામાજિક સુરક્ષા સહિતના પ્રશ્નો અને માંગણીઓ રજૂ થઈ હતી. કલેક્ટર ડો. વિપીન ગર્ગે દરેક અરજીને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા નિયમ મુજબ યોગ્ય નિરાકરણ લાવવા માટે વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ લાવી તેમને ન્યાય અપાવવાનો છે. પ્રજાની રજૂઆતો પ્રત્યે સંવેદનશીલતા રાખી અધિકારીઓએ સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવી જરૂરી હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા જશુભાઈ દેસાઈ, મદદનીશ કલેક્ટર ડો. રિતિકા આઈમા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કામગીરી:મતદાર યાદીમાં નામ ઉમેરવા 97 હજાર મતદારે ફોર્મ ભર્યાં

અમદાવાદમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે નવા 97,664 મતદારે ફોર્મ-6 ભર્યાં હતાં અને નામ કમી કરાવવા માટે 2,40,549એ ફોર્મ ભર્યાં હતાં. વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારની જાણ બહાર જ નામ કમી કરાવવા માટે ફોર્મ ભરી દેવાના આક્ષેપો કર્યા હતા. જોકે કલેક્ટર કચેરી દ્વારા જણાવાયું હતું કે તમામ ફોર્મની ચકાસણી કર્યા બાદ જ મતદારનું નામ કમી કરવામા આવી રહ્યું છે. માત્ર કોઇએ ફોર્મ ભરી દીધા છે અને તેના આધારે નામ કમી કરવાની પ્રક્રિયા કરાતી નથી. બારીકાઈથી ફોર્મ-7 ચકાસીને નામ કમી કરાશેજિલ્લાના તમામ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરો સાથે બેઠક કરીને ફોર્મ-7ની બારીકાઈ વિશે મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. મતદારની પાત્રતા ધરાવતા લોકોને એકથી વધુ તક આપી નામ ઉમેરવા કડડ સૂચના અપાઈ છે. જે પણ મતદારનાં નામ કમી કરવામાં આવી રહ્યાં છે તેઓને પૂરતી તક આપ્યા પછી જ તેઓનું નામ યાદીમાંથી કાઢી નખામાંશે. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જાહેર કરાશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

મહત્વની બેઠક યોજાઈ:પાટણ નગરપાલિકાની સરકારી ગાડીના દુરુપયોગ બદલ કર્મીને ફરજ પરથી દૂર કરવા કારોબારીમાં નિર્ણય કરાયો

પાટણ નગરપાલિકામાં શુક્રવારે સાંજે કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક શરૂ થતાની સાથે જ વિકાસના કામો કરતા પાલિકાની માલિકીની ગાડીના દુરુપયોગનો મુદ્દો સૌથી વધુ ગાજ્યો હતો. પાલિકાની બોલેરો કેમ્પર ગાડી છેલ્લા 5 દિવસથી કોઈને જાણ કર્યા વગર બહાર ફરી રહી હોવાનું સામે આવતા શાસકો લાલઘૂમ થયા હતા. કારોબારીમાં આ મામલે ગંભીર ચર્ચા થયા બાદ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ગાડીના આ વિવાદમાં સંકળાયેલા કર્મચારી પાર્થ મોદીને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, પાલિકાએ મધ્યમ માર્ગ અપનાવતા જણાવ્યું હતું કે, જો તપાસમાં તે નિર્દોષ સાબિત થશે, તો જ તેને ફરીથી ફરજ પર પરત લેવામાં આવશે. બેઠકમાં કુલ 19 કામો (8 રૂટિંગ અને 11 વધારાના) પર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના વિકાસ મુદ્દે ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારમાંથી ગ્રાન્ટ ઓછી આવી હોવા છતાં વર્ક ઓર્ડર અપાઈ ગયેલા કામોને અટકવા દેવાશે નહીં. અન્ય ગ્રાન્ટોમાંથી રકમ એડજસ્ટ કરીને પણ શહેરના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કાર્યવાહી:સાંતલપુરમાં મતદાર યાદીમાં નામ કમી કરવા ખોટા વાંધા આપતા કાર્યવાહી કરો : કોંગ્રેસ

સાંતલપુર તાલુકામાં મતદાર યાદી સુધારણામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી નામ કમી કરવા માટે ખોટા વાંધા રજુ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. સાંતલપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર એ આવેદનપત્ર આપી રજુઆત કરી વાંધા અરજીઓ સામે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદ ખાને જણાવ્યુ હતું કે સાંતલપુર તાલુકામાં આશરે 3200 જેટલા મતદારોના નામ સામે વાંધા દર્શાવતા સાત નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે.જે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.આ પ્રસંગે મહેબુબ ખાન,મુરીઝ ખાન,પૂર્વ સરપંચ હાજીખાન અને જાહિદ ખાન ફુલપુરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ગુરુ ઉપકાર મહોત્સવ:શિલ્પી પથ્થરને ટાંકણે કંડારી શિલ્પ બનાવે છે, તેમ ગુરુ શિષ્યના જીવનનું ઘડતર કરે છે

પાટણના પંચાસરા જિનાલય સ્થિત ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના દીક્ષા જીવનની 73મી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા એક દિવસીય ગુરુ ઉપકાર મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજી અને પૂ. અજિતસેનવિજયજી મહારાજ આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાયેલી ગુણાનુવાદ સભામાં મુનિરાજ પૂ. ચારિત્રરત્ન વિજયજીએ ગુરુમહિમા વર્ણવતા પ્રેરક વચનો ઉચ્ચાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુરુ એ સંસાર સાગરમાંથી પાર ઉતારનારા નાવિક છે અને ગુરુ વિના જ્ઞાનદીપ પ્રગટી શકતો નથી. જે રીતે શિલ્પી પથ્થરને ટાંકણે કંડારી શિલ્પ બનાવે છે, તેમ ગુરુ શિષ્યના જીવનનું ઘડતર કરે છે. આ પ્રસંગે પાટણના વિવિધ જિનાલયોમાં પ્રભુજીની મનોહર આંગી રચવામાં આવી હતી અને મોટી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકા ઓએ સામૂહિક આયંબિલ તપની આરાધના કરી હતી. મહોત્સવના ભાગરૂપે જીવદયાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા, જેમાં નેનાવા નિવાસી જમનાબેન જીવરાજજી પરિવાર (મુંબઈ) દ્વારા જિલ્લામાં અબોલ પશુઓને ઘાસચારાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, હીરાણી પરિવાર (બેંગલોર) દ્વારા વિદ્વાન પંડિતવર્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આચાર્ય લબ્ધિવલ્લભસૂરિજી સહિતના સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

આઠ શૌચાલયો તૈયાર કરવા આયોજન:પાટણ શહેરમાં ખાનગી એજન્સી 8 સુવિધાઓ સાથે શૌચાલય બનાવશે

પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા શાખા દ્વારા પાલિકાના તિજોરી પર બોજ નાખ્યા વિના ખાનગી એજન્સીઓ દ્વારા શહેરના આઠ શૌચાલયો તૈયાર કરવા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એજન્સીઓ પોતાના ખર્ચે નિર્માણ અને નિભાવણી કરશે, જેના બદલામાં તેમને શૌચાલય પર માત્ર જાહેરાત પ્રદર્શિત કરવાનો હક મળશે. લોકોને શૌચક્રિયા માટે નિશુલ્ક પ્રવેશ આપશે. ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું કે પાટણના અનેક વિસ્તારોમાં હાલ શૌચાલયો અત્યંત જર્જરિત અને ગંદકીથી ખદબદતા જોવા મળે છે. ખાસ કરીને દોશીવટ બજારમાં જૂના શૌચાલય તોડીને ત્યાં નવું સ્ટ્રક્ચર ઊભું કરાશે. એજન્સીઓ માત્ર બાંધકામ જ નહીં, પરંતુ તેની રોજિંદી સફાઈ અને જાળવણી માટે પણ જવાબદાર રહેશે. આ નિર્ણયથી પાલિકાના મેન્ટેનન્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને નાગરિકોને ચોખ્ખી સુવિધા મળશે. આ અંગે આગામી સામાન્ય સભામાં ઠરાવ થશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કલેકટરે આસપાસના દબાણો દૂર કરવા માટેનો પણ આદેશ આપ્યો:વિજાપુર ટીબી રોડ નજીકના અંડર પાસની બંને બાજુ રોડ બનાવાશે

ફિલ્ડમાં લોકોને પડતી સમસ્યાનો ઉકેલ કરવા માટે બુધવારના રોજ વિજાપુર પહોંચેલા જિલ્લા કલેકટર શૈલેષભાઈ પ્રજાપતિએ ટીબી રોડ નજીક બનાવવામાં આવેલ અંડર પાસની બંને બાજુઓ પાકા ડામરનો નવીન રોડ બનાવવા માટે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની ઘણા સમયથી માગણી હતી. તેના માટે માર્ગ અને મકાન વિભાગને સૂચના આપીને નવીન રોડ બનાવવાનું કહ્યું હતું. સાથે મહાલક્ષ્મી સોસાયટીની સામે અંડર પાસના બીજી તરફના રસ્તામાં વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરીને રસ્તો બ્લોક કરી દેતા હોવાથી જિલ્લા કલેકટર શૈલેષભાઈ પ્રજાપતિએ સ્થાનિક પીઆઈને તમામ વાહન ચાલકો સામે ચલણ આપીને દંડની કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપી હતી. આ ફિલ્ડ વિઝિટમાં ડેપ્યુટી કલેક્ટર દેવાંગ રાઠોડ સ્થાનિક મામલતદાર અતુલસિંહ ભાટી અને પીઆઇ વનરાજસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સાંજે 5.30 કલાકે તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું‎:ઉ.ગુ.માં 22.6 ડિગ્રી સાથે ગુરુવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાનો પવન ફૂંકાયો હતો. ઠંડા પવનના કારણે પોણા ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પોણા 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 22.6 ડિગ્રી સાથે શુક્રવારનો દિવસ અત્યાર સુધીની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જ્યારે સાંજે 5.30 કલાકે તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં આવેલા નોંધપાત્ર ઘટાડાના કારણે દિવસે જ કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. 24 કલાકમાં હજુ ઠંડી 2-3 ડિગ્રી વધશેહવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ત્યાર બાદ ઠંડી નબળી પડી શકે છે. 25 થી 27 જાન્યુઆરી દરમિયાન ઠંડી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં કડકડતી ઠંડીથી રાહત મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કાર્યવાહી:ઓડદર ગામ નજીક કારમાંથી 432 નંગ વિદેશી દારૂ અને બીયરનો જ્થ્થો ઝડપાયો

ઓડદર ગામ સતી માંના વિસામા થી વિરા ભગતની જગ્યા તરફ જતા રોડ પર એલસીબીએ વોચ રાખી દરોડો પાડી કારમાંથી 432 જેટલી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો બીયર મળી આવતા કુલ રૂ.8,85,920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમ્યાન આરોપી નાશી છૂટ્યો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાંથી વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલસીબી પીઆઈ આર. કે. કાંબરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઓડદર ગામ સતી માંના વિસામા પાસે પહોંચતા બાતમી મળેલ કે, ઓડદર ગામ વિરા ભગતની જગ્યા વાળા રસ્તે થી એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સતી માંના વીસામા તરફ કાર આવે છે. જેથી આ સ્થળે ટીમ વોચમાં હતી તે દરમ્યાન કાર આવતા કારના ચાલકે પોલીસ સ્ટાફને જોઇને કાર દુર ઉભી રાખી અંધારામાં નાશી ગયો હતો. તપાસ કરતા કારની પાછળની સીટ તથા ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી 432 જેટલી બોટલ અને બીયર ટીન મળી આવતા, ટીમે કાર સહિત કુલ રૂ. 8,85,920નો મુદ્દામાલ કબ્જે કરી, નાશી જનાર ચાલક સામે ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વિકાસલક્ષી:પુરવઠાને લગતી ફરિયાદો, ક્લોરીનેશનની કામગીરી, જર્જરિત પાણીની ટાંકીઓ અને જલ સેવા આંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં વાસ્મો સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં પાણી પુરવઠાને લગતી ફરિયાદો, ક્લોરીનેશનની કામગીરી, જર્જરિત પાણીની ટાંકીઓ અને જલ સેવા આંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને વાસ્મો (WASMO) સમિતિની મહત્વની બેઠક સંપન્ન યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં પાણી પુરવઠાની સુવિધા સુદ્રઢ બનાવવા માટે 15માં નાણા પંચ, એટીવીટી, જિલ્લા આયોજનના વિવેકાધીન પ્રોગ્રામ અને ડી.એમ.એફ. કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લામાં મચ્છરજન્ય રોગો અટકાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે તમામ સ્તરે સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવા જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી.આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્યાં મુદાઓની ચર્ચા કરાઈઆ બેઠક દરમિયાન ગતિ શક્તિ પોર્ટલ પરની એન્ટ્રીઓ, પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું નિવારણ, ક્લોરીનેશનની કામગીરી, જર્જરિત પાણીની ટાંકીઓ અને જલ સેવા આંકલન જેવા મુદ્દાઓ પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, જલ અર્પણ કાર્યક્રમ માટે જિલ્લાના બે ગામોની પસંદગી અંગે પણ ચર્ચા થઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

રસીકરણની કામગીરી પૂર્ણ:પશુપાલન વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ખરવા મોવાસાની 1.72 લાખ પશુઓનો વેક્સિન આપી

પોરબંદર જિલ્લામાં રહેલ પશુઓનો પશુપાલન વિભાગ દ્વારા વર્ષમાં 2 વખત ખરવા અને મોવાસાની રસી આપવામાં આવે છે.જિલ્લામાં પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા 135407 ભેંસ અને 37429 ગાયને મળી કુલ 172836 પશુઓનો પ્રથમ તકક્કામાં રસીકરણ આપવામાં આવી છે.ત્યારે હવે બીજા તબક્કાની માર્ચ 2026થી 1.75 લાખ પશુઓને વેકસીન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે પશુપાલન વિભાગ આવેલ છે.આ વિભાગ દ્વારા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો અને માલધારીઓ માટેની વિવિધ સરકારી યોજના તેમજ સરકારી લાભ આપવામાં આવે છે તો જિલ્લામાં રહેલ પશુઓ માટે પશુ દવાખાના અને પશુઓનો આરોગ્યની સેવા પણ પુરી પાડવામાં આવે છે.પોરબંદર જિલ્લામાં રહેલ પશુઓ માટે સમયાંતરે પશુ કેમ્પ પણ આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં રહેલ માલિકીના પશુઓ માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે વર્ષમાં 2 વખત ખરવા અને મોવાસા રસી આપવામાં આવે છે જે શિયાળા અને ચોમાસા પૂર્વે આપવામાં આવે છે.ત્યારે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં ખરવા અને મોવાસાની રસી આપવાની કામગીરી અલગ અલગ ટીમ મારફતે શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા દોઢ માસ દરમ્યાન કુલ 172836 પશુઓનો ખરવા મોવાસાની રસીકરણ આપવામાં આવી છે.જેમાં 135407 ભેંસ અને 37429 ગાયને રસી આપવામાં આવી છે.ત્યારે બીજા તબક્કાની 1 માર્ચ 2026 થી દોઢ માસ સુધી 1.75 લાખ પશુઓને વેકસીન આપવામાં આવશે. પ્રથમ તબક્કાની રસીકરણ પ્રકિયામાં વિલંબ થયો પોરબંદર જીલ્લામાં દર વર્ષે ચોમાસા પૂર્વે શરૂ કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે રસીકરણના ડોઝ આવવામાં વિલંભ થતા રસીકરણ પ્રકિયામાં વિલંભ થયો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

4 કિમીના રોડના કામમાં ગેરરીતિ:માળીયા પંથકના બરૂલા-આછીદ્રાને જોડતા રોડનો ડામર નબળો નીકળ્યો !

માળીયામાં બરૂલાથી આછીદ્રાને જોડતા અંદાજે ચાર કિલોમીટર રોડના કામમાં બેદરકારી સામે આવી છે. રોડના નિર્માણ દરમિયાન ઉપયોગમાં લેવાયેલું ડામર મટીરીયલ નબળું હોવાનું તપાસમાં બહાર આવતા સંબંધિત વિભાગે તાત્કાલિક કામ બંધ કરાવ્યું છે. બરૂલા–આછીદ્રા રોડનું કામ સંબંધી એજન્સી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ લેયર દરમિયાન જ ડામરની ગુણવત્તા શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકોએ અધિકારીઓને જાણ કરી હતી. ફરિયાદ મળતાં જ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.ચકાસણી દરમિયાન ડામર મટીરીયલની ગુણવત્તા નબળી હોવાનું સ્પષ્ટ થતાં વિભાગે તરત જ રોડનું કામ અટકાવવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે ઉપયોગમાં લેવાયેલા મટીરીયલના સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એજન્સી સામે કડક કાર્યવાહી કરો‎વિભાગે એજન્સીને સ્પષ્ટ સૂચના આપી છે કે હાલના નબળા મટીરીયલને સંપૂર્ણપણે હટાવી, ગુણવત્તાયુક્ત મટીરીયલથી ફરીથી રોડનું કામ શરૂ કરવામાં આવે. રોડના કામમાં બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

હુમલો:યુવક પર પાઈપ વડે હુમલો, 2 મહિલા સહિત 11 શખ્સ સામે પોલીસ ફરિયાદ

ભેસાણના ગોરવીયાળી ગામે એક યુવક પર લોખંડના પાઈપ વડે હુમલાનો બનાવ બન્યો હતો. ભેસાણ તાલુકાના ગોરવીયાળીના 60 વર્ષીય પાલાભાઈ દેવાભાઈ સોલંકીની ફરિયાદ અનુસાર તેનો પુત્ર જેન્તી ગઈ તારીખ 19 જાન્યુઆરીના રોજ રાત્રે 8:30 વાગ્યે ગામમાં માવો ખાવા ગયો હતો. ત્યારે મગનભાઈના ઘર પાસેથી નીકળતા મગનભાઈ ખોડાભાઈ દાફડા, અશોક જસાભાઈ સોલંકી, પ્રવીણ માણસુરભાઈ સોલંકી, પ્રેમજી ખોડાભાઈએ મશ્કરી કરતા યુવાન તેના ઘર તરફ આવતો રહેલ અને ઘર પાસે પહોંચતા ચારેય શખ્સ તથા તેની સાથે મગનભાઈના પત્ની શારદાબેન, પ્રેમજીભાઈના પત્ની દક્ષાબેન, તેના બંને દીકરા સુનિલ, રાજેશ તેમજ જેન્તી બીસુભાઈ સોલંકી સહિત 11 શખ્સોએ આવી બોલાચાલી કરી હતી અને વિજયએ લોખંડના પાઈપ વડે જેન્તીભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા દરમિયાન અન્ય શખ્સો પાલાભાઈના પુત્ર હિંમતને પણ માર્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ​ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108 મારફતે ભેસાણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ટાંકા આવ્યા હતા. પોલીસે વૃધ્ધની ફરિયાદ આધારે 2 મહિલા સહિત 11 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વેધર રિપોર્ટ:હવામાનમાં પલટો, વાદળો છવાયા, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો

ગુરુવારે ઓચિંતા હવામાનમાં પલટો આવતા જૂનાગઢ સહિત સોરઠના આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો જોકે સવારે, બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતા પવન બરફીલો થઈ ગયો હતો. મંગળવાર થી તાપમાનમાં શરૂ થયેલો વધારો સતત ચોથા દિવસે પણ યથાવત રહ્યો હતો પરંતુ શુક્રવારની સવારે હવામાનમાં ઓચિંતોપલટો આવ્યો હતો અને તે સાથે આકાશમાં વાદળો છવાય ગયા હતા. પરંતુ લઘુતમ તાપમાન 2.1 ડિગ્રી વધીને ફોર ડીગ્રી નોંધાયું હતું. તાપમાન વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 86 ટકાએ પહોંચી જતા વ્હેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. સવારથી 4.4 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા દિવસ દરમિયાન વાતાવરણ બરફીલું રહ્યું હતું. જેની અસર બપોરના તાપમાન પર થઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

ખાખડીના ભાવમાં તેજી નોંધાઈ:જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખાખડીનો રેકોર્ડબ્રેક ભાવ, એક કિલોના રૂ.1600 ઉપજ્યા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફળ વિભાગના હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં ખાખડીનો ભાવ રૂપિયા 1600 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. મોંઘા ભાવ હોવા છતાં માર્કેટમાં તેની સારી માંગ જોવા મળી રહી છે. હાલમાં યાર્ડમાં 10 કિલોથી વધુ ખાખડીની આવક નોંધાઈ છે. સીઝનની શરૂઆતમાં ઓછી આવક અને સામે વધુ માંગ હોવાને કારણે ભાવમાં આટલો મોટો વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

તાયફાઓમાં વ્યસ્ત બન્યા નેતાઓ:છેલ્લે વાયદો કર્યો તેને પણ 3 માસ વીતી ગયા, તાયફાઓમાં વ્યસ્ત નેતાઓ પાસે સમયની કમી

ગુજરાતની કોકિલકંઠી ગાયિકા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ, જેમણે પોતાના અવાજથી ગુજરાતી લોકસંગીતને વિશ્વસ્તરે ગુંજતું કર્યું, આજે તેમનું સન્માન જળવાવાને બદલે તેમની પ્રતિમા બંધ રૂમોમાં કેદ થઈ ગઇ છે. મહાનગરપાલિકાના સત્તાધીશો અને નેતાઓએ ભારે ગાજવીજ સાથે બસ સ્ટેશન પરિસરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. પરિવારજનોને આશ્વાસન અપાયું હતું કે આ પ્રતિમા નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે. જો કે, મહિનાઓ વીતી ગયા હોવા છતાં, એ 'પ્રેરણા' આજે એક અંધારા રૂમમાં બંધ અવસ્થામાં પડી છે. પરિવારજનોની લાગણી દુભાઈ રહી છે કારણ કે તેમને આપવામાં આવેલા વચનો માત્ર કાગળ પર રહી ગયા હોય તેવું લાગે છે. જ્યારે કોઈ કલાકાર જીવિત હોય ત્યારે તેમની વાહવાહી કરવામાં તંત્ર પાછું પડતું નથી, પણ તેમના નિધન બાદ તેમની સ્મૃતિ જાળવવામાં આટલી ઢીલાશ કેમ? શું મહાનગરપાલિકા પાસે પ્રતિમાના અનાવરણ માટેનો પણ સમય નથી? જ્યારે પણ પૃચ્છા કરવામાં આવે ત્યારે માત્ર 'ટૂંક સમયમાં થઈ જશે' જેવા પોકળ જવાબો મળે છે. આ વિલંબ પાછળ વહીવટી મંજૂરીઓનું બહાનું છે કે પછી રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, તે મોટો પ્રશ્ન છે. બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે પ્રતિમા મૂકવાનો હેતુ એ હતો કે લાખો મુસાફરો આ મહાન કલાકારના પ્રદાનને જાણી શકે. મનપાના સત્તાધિશોએ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતીમા મુકવાનો વાદો કર્યો હતો એ વાતને 3 મહિના વિતી ગયા છે, પ્રતિમા તૈયાર છે પણ તેને સ્થાપિત કરવાનો નેતાઓ પાસે સમય નથી એટલે આ રૂમમાં મુકી દેવાઇ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

લસણ અને કપાસની આવક‎:યાર્ડમાં ડુંગળીએ ખેડુતોને રડાવ્યા, કિલોના રૂા. 2

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં 1055 ખેડુતો 23,894 મણ સાથે 21 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતા. જેમાં સૌથી વધુ લસણ અને કપાસની આવક થઈ હતી. તો ડુંગળીના 2 રુપિયે કીલોએ હરરાજી થઈ હતી. હાપા યાર્ડમાં શુક્રવારે જુવાર 18 મણ, બાજરી 83, ઘઉં 538, મગ 3, અળદ 68, તુવેર 105, મઠ 4, ચોળી 207, ચણા 725, એરંડા 293, રાયડો 63, લસણ 5142, કપાસ 5358, જીરૂ 1179, અજમો 4296, અજમાની ભુસી 2731, મરચા 495, સુકી ડુંગળી 2274, સોયાબીન 275, વટાણા 42 મણની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ લસણ અને કપાસની રહી હતી. તો ડુંગળીના ભાવ ઓછા મળતા હોવાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવેલી ડુંગળીની હરરાજીમાં કીલોના રૂ.2 થી લઈને 15 સુધીના ભાવે સોદા થયા હતા. જેથી ખેડુતોનો ઉત્પાદનનો ખર્ચ પણ નીકળતો નથી. ડુંગળીના વાવેતર કરનાર ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવું પડે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વાતાવરણ ઠંડુગાર‎:જામનગર શહેરમાં 20 કિ.મી.ની ઝડપે‎બર્ફિલો પવન ફૂંકાયો

જામનગર સહિત હાલારભરમાં શુક્રવારે સવારે વાતાવરણમાં પલટા સાથે આભમાં વાદળોની આવન જાવન બાદ માહોલ સ્વચ્છ થયો હતો.જયારે દશથી વીશ કિ.મિ.ની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાતા સવાર અને સાંજે વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ.લઘુતમ અને મહતમ પારો દોઢ ડિગ્રીથી વધુ ઉંચકાતા આંશિક રાહત વચ્ચે બર્ફિલા પવનથી તિવ્ર ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો હતો.સુસવાટા મારતા પવનથી બપોર બાદથી ટાઢોડાનુ સામ્રાજય છવાયુ હતુ. જામનગરમાં ગત બુધવારથી ઠંડીનો પારો ક્રમશ: વધતો જોવા મળ્યો હતો.જેમાં ગુરૂવારે પારો 13 ડિગ્રીએ સ્થિર થયા બાદ શુક્રવારે વધુ દોઢ ડિગ્રી વધ્યો હતો અને 14.6 ડિગ્રી પર સ્થિર થયો હતો. શુક્રવારે સવારે વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા માહોલ વચ્ચે સુર્યનારાયણના અલપ ઝલપ દર્શન થયા હતા.જોકે,મોડેથી વાતાવરણ મહદઅંશે સ્વચ્છ થતા વેગીલો વાયરો ફુંકાયો હતો.લગભગ દશથી વીશ કિ.મિ.ની ઝડપે આ પવન ફૂ઼કાતા વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ.ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે ઉતરપુર્વના પવનના કારણે લઘુતમ તાપમાન વધ્યુ હોવા છતા બર્ફિલા પવનના કારણે જનજીવન ધ્રુજી ઉઠયુ હતુ.તેમાં પણ સુર્યાસ્ત બાદ તિવ્ર ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો હતો. જામનગરમાં શુક્રવારે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારા સાથે ભેજનુ પ્રમાણ લગભગ 19 ટકા ઘટયુ હતુ અને 55 ટકા નોંધાયુ હતુ.જયારે મહતમ તાપમાન 1.5 ડિગ્રી વધી 28.5 ડિગ્રી રહયુ હતુ. બર્ફિલા પવનના કારણે બપોર સિવાયના સમયગાળા દરમિયાન શહેર સહિત જીલ્લાભરમાં ટાઢોડુ યથાવત રહયુ હતુ.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

કામગીરી:2 હથિયારના પરવાના રીન્યુ ન કરાવતા વેપારી સામે ફરિયાદ

જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક આસામીએ જુદા જુદા 2 સમયે અલગ અલગ હથિયારના પરવાના મેળવ્યા બાદ બે હથિયાર ખરીદ્યા હતા. ત્યારપછી પરવાનો રીન્યુ કરવાની મુદ્દતમાં પરવાના રીન્યુ નહીં કરાવતા બંને હથિયાર કબજે કરી એસઓજીએ ગુન્હો નોંધ્યો છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીમાં રહેતા મૂળ જામનગર તાલુકાના નારણપર ગામના ભાવેશ ચંદુભાઈ નંદા નામના આસામીએ વર્ષ 2010ના ઓક્ટોબર મહિનામાં બાર બોરની બંદૂક માટે લાયસન્સ પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી વર્ષ 2016ના જૂન મહિનામાં પિસ્તોલનું લાયસન્સ તેઓએ જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર જિલ્લામાંથી મેળવ્યું હતું. ત્યારપછી આ આસામીએ બંને લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેને સમયસર રીન્યુ કરાવ્યા ન હતા અને તે રીતે હથિયારના લાયસન્સની શરતોનો ભંગ કર્યો હતો. જે અંગે એસઓજી દ્વારા હથિયારના લાયસન્સધારકોની ચકાસવામાં આવી રહેલી વિગતો દરમિયાન ઉપરોક્ત બાબત ધ્યાનમાં આવતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી ગઈકાલે ભાવેશ નંદાના ઘરે ધસી ગયેલી એસઓજી ટીમે ત્યાંથી રૂ।.20 હજારની કિંમતની બાર બોરની બંદૂક અને રૂ।.1 લાખની કિંમતની પિસ્તોલ કબજે કરી લઈ આ આસામી સામે હથિયારના લાયસન્સના શરતના ભંગનો ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સમસ્યા:કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી આંશિક રદ

જામનગર જિલ્લાના કાનાલુસ સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ અને પ્લેટફોર્મના નિર્માણ કાર્યને લીધે 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી- 2026 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. તેમ રેલ્વે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ​આંશિક રીતે રદ થયેલી ટ્રેનોમાં ​ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ તા.26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી - 2026 સુધી પોરબંદરથી ઉપડીને માત્ર ગોપજામ સુધી જ ચાલશે અને ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ ​ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ તા.28 ફેબ્રુઆરી સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ઉપડશે અને કાનાલુસ-ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેથી મુસાફરોને તકલીફ ન પડે તે માટે તેઓએ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન અંગેની અદ્યતન માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianra il.gov.in વેબસાઇટ પર જોઈ શકે છે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેની તમામ રેલ્વે મુસાફરોએ ધ્યાનમાં લેવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સુવિધા:જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે જામનગરમાં 26 જાન્યુ.થી સેવાકેન્દ્ર શરૂ કરાશે

જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા GST નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર ખાતે GST સેવાકેન્દ્ર આગામી 26મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેથી વેપારીઓ માટે જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ બની રહેશે. જામનગરમાં GST સેવાકેન્દ્ર જિલ્લા સેવા સદન–2, બીજો માળ, લાલ બંગલો કેમ્પસ, દર ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે 10:30 થી 6:10 સુધી કાર્યરત રહેશે. GST નોંધણી માટે દરેક નવી અરજીઓમાં સિસ્ટમ મુજબ સ્લોટ સિલેક્શન થોડા સમય માટે હાલ પુરતું જુનાગઢ દર્શાવવામાં આવી શકે છે તેમ છતાં આવી અરજીઓ માટે અરજદારોએ આધાર ઓથેન્ટિકેશન તથા દસ્તાવેજ ચકાસણી માટે નિર્ધારિત દિવસોમાં એટલે કે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે જામનગર ખાતે આવેલ GST સેવાકેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે. આ કેન્દ્ર ખાતે નવા GST નોંધણી માટે ઓનલાઈન અરજી કરનાર કરદાતાઓને અરજી બાદ તેમના આધાર કાર્ડની ઓથેન્ટિકેશન પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરાશે. જેથી નોંધણી પ્રક્રિયામાં વિલંબ ટાળી શકાય અને ખોટી નોંધણી અટકાવી શકાય. આ સુવિધા દ્વારા વેપારીઓ, ઉદ્યોગકારો તથા સામાન્ય જનતાને માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ થશે અને GST નોંધણી પ્રક્રિયા વધુ સુગમ બનશે. તમામ પાત્ર વ્યક્તિઓને આ સુવિધાનો લાભ લેવા તેમજ પૂછપરછ અથવા માર્ગદર્શન માટે ધારા પરીખ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સંપર્ક (નં. 9714506560) કરવા નાયબ રાજ્ય વેરા કમિશનર, વર્તુળ-24, જામનગરએ જણાવ્યું છે. બોગસ પેઢીમાં બીલીંગ કૌભાંડ પકડાયું'તું જામનગર શહેરમાં થોડા દિવસો પહેલા જ એક સીએ દ્વારા બોગસ પેઢીઓમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેથી શહેરમાં તેમજ વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જામનગરમાં અવાર-નવાર બોગસ પેઢીઓ ખોલીને કૌભાંડો આચરવામાં આવતું હોવાનું સામે આવે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સાસંદ અને DDOને આવેદન અપાયું:જિલ્લામાં ટીએલઈ,મેનપાવર અને 15માં નાણાંપંચમાં ફરજ બજાવતા કર્મચારીઓને નોકરી પરથી છુટા કરતા ભારે રોષ

અમરેલી જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી ઈગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ ટી.એલ.ઈ, મેનપાવર, 15માં નાણાંપંચમાં ફરજ બજાવતા કર્મચારીઓ 2007થી નોકરી કરી રહ્યા છે. જેમને આગામી તારીખ 1 ફેબ્રુઆરીથી એકા એક છુટા કરવામા આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તકે અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા ઈગ્રામના તમામ કર્મચારીઓએ રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના સાસંદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 19વર્ષથી અમરેલી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ઈગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત TLE, મેનપાવર, 15FCના CE, TA પોસ્ટ ઉપર સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને જવાબદારી સાથે ફરજ બજાવતા આવ્યા છે. બે દાયકા દરમિયાન અમોએ માત્ર નોકરીરૂપે નહિ પરંતુ સરકારની મહત્વપૂર્ણ ડિજિટલ યોજના પ્રત્યે સેવા ભાવનાથી કાર્ય કર્યું છે. ગ્રામ પંચાયત સ્તરે ઈ ગવર્નન્સની કામગીરી, નાગરિકોને ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવી, ઓનલાઈન પ્રમાણપત્રો, વિવિધ સરકારી યોજનાઓની અમલવારી, ટેકનિકલ સહાય અને ગ્રામ્ય જનતાને માર્ગદર્શન તેમજ ઓફિસની તમામ પ્રકારની કામગીરી મર્યાદિત સાધનો અને વ્યક્તિગત મુશ્કેલીઓ વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તાજેતરમાં આ કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવા અંગે પત્ર પાઠવવામાં આવ્યા છે. જેના કારણે આ કાર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ફરજ પરથી છૂટા કરવાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે તેવી કર્મચારીઓએ માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સાવજના લટારથી લોકોમાં વ્યાપ્યો ભય:જાફરાબાદના સરોવડામાં સાવજોએ વાછરડાનું મારણ કર્યું, બજારમાં સાવજોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

જાફરાબાદના સરોવડામાં ફરી એકવાર સિંહોની લટારથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામની બજારમાં સાવજોના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા સિંહે એક વાછરડાની પાછળ દોટ લગાવતા ગાયે પણ વાછરડાને બચાવવા સિંહ સામે દોટ લગાવી હતી. આ દરમિયાન બજાર વિસ્તારમાં સિંહો અને ગાયો વચ્ચે થયેલી દોડધામ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સિંહે ગામની અંદર જ વાછરડાનો શિકાર કર્યો હતો. શિકાર કર્યા બાદ સિંહ મૃત વાછરડાને ગામની બહાર લઈ ગયો હતો. સિંહના શિકાર અને ગામમાં પશુઓમાં થયેલી અફરાતફરીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે સરોવડામાં સાવજોના આંટાફેરાથી વન વિભાગ પેટ્રોલીંગ વધારે તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

વેધર રિપોર્ટ:અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થતા ઠંડીમાં ઘટાડો

અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 25મી જાન્યુઆરી સુધી કેટલાક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેવા અને ક્યાંક ક્યાંક વરસાદ પડવાની આગાહી કરી છે. અમરેલીમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. આ સાથે આજે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનનો પારો 14.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 31.5 ડિગ્રી રહ્યો હતો. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 1.8 કિ.મીની રહી હતી. આજે અમરેલી શહેરમાં પવનની ગતિ વધારે રહી હતી. ઉત્તરાયણ બાદ અમરેલીમાં પ્રથમ વખત ન્યુનત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી નજીક પહોંચ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 4:00 am

સીઆર પાટીલે ઉદ્ધાટન કરેલો 34 કરોડનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન:બ્રિજ ઉતરતા જ રસ્તો બંધ, વાહનચાલકો યુ-ટર્ન લેવા મજબૂર; કનેક્ટિંગ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજનું 56 ટકા કામ અધૂરું

સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ભેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે મજાક સમાન બની ગયો છે. વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર વાહનચાલકો 600 મીટરના બ્રિજના એક છેડેથી ચઢીને બીજા છેડે ઉતરે તો છે પરંતુ ત્યાંથી તેમને પાછા ફરવું પડે છે. આ પાછળનું કારણ એવું છે કે, તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદ્ધાટન તો કરી દેવાયું પરંતુ બ્રિજની સામે રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી. જેના કારણે વાહનચાલકો 600 મીટરો બ્રિજ ક્રોસ કર્યા પછી અટવાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, આ દૃશ્યો જોઈને એવું લાગે છે કે, જાણે બાળકો બગીચામાં લપસણી ખાવા દાદર ચઢીને આવે છે અને ત્યાંથી નીચે ઊતરીને ફરી પાછા લપસણી ખાવા આવી જાય છે. રેલવે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ બ્રિજ હાલ માત્ર 'શોભાના ગાંઠિયા' જેવો સાબિત થઈ રહ્યો છે. સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજુ પણ 56 ટકા અધૂરુંજો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોત તો વેસુને નેશનલ હાઈવે નંબર 48 સાથે સીધું જોડાણ મળ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડિંડોલી અને લિંબાયત વિસ્તારના અંદાજે 5 લાખ લોકોને ડુમસ, વેસુ અને અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહે તેમ હતી. પરંતુ કમનસીબી એ છે કે, સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજુ પણ 56 ટકા જેટલું અધૂરું છે. તંત્રની આ ધીમી ગતિને કારણે લાખો લોકોની સુવિધા અત્યારે હવામાં લટકી રહી છે. 59 કરોડના ખર્ચે તૈયાર થતો પ્રોજેક્ટ 74 કરોડ ખર્ચ્યા છતાં અધૂરોવર્ષ 2019માં જ્યારે આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે આશા હતી કે, અઢી વર્ષમાં કામ પૂરું થઈ જશે. પરંતુ આજે સાત વર્ષ વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. આ વિલંબને કારણે પાલિકાની તિજોરી પર પણ આર્થિક ફટકો પડ્યો છે. જે પ્રોજેક્ટનો મૂળ ખર્ચ 59 કરોડ રૂપિયા હતો. તે વિલંબના કારણે વધીને હવે 74 કરોડ સુધી પહોંચી ગયો છે. આમ, જનતાના પરસેવાના 15 કરોડ રૂપિયા માત્ર તંત્રની બેદરકારીને કારણે વધારે ખર્ચાયા છે. સી.આર. પાટીલ દ્વારા બ્રિજનું ઉદ્ધાટન કરાયું23 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા આ બ્રિજનું ઉદ્ધાટન તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકો માટે આ માત્ર એક 'ફોટો ઓપોર્ચ્યુનિટી' જેવું છે. બ્રિજ ઉતર્યા પછી તુરંત ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે આયોજનમાં કેટલી મોટી ખામી છે. લોકો ઉમંગભેર બ્રિજ પર ચઢે છે તો ખરા, પણ અંતે રેલવે ટ્રેક જોઇને નિરાશ થઈ યુ-ટર્ન લે છે. શું માત્ર વાહવાહી મેળવવા માટે જ આવા અધૂરા આયોજન સાથે ઉદ્ધાટન કરાયું? રેલવે ફ્લાયઓવરનું કામ લાંબા સમયથી બંધ?સ્થળ પરની સ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે, નિર્માણધીન રેલવે ફ્લાયઓવરનું કામ લાંબા સમયથી બંધ હાલતમાં છે. રેલવે ટ્રેક પસાર કરવા માટે કોઈ પુલ ન હોવાથી કેટલાક જોખમી દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. લોકો સાયકલ લઈને કે પગપાળા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે, જે ગમે ત્યારે જીવલેણ અકસ્માત નોતરી શકે છે. વહીવટી તંત્ર દ્વારા આ જોખમ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોય તેવું સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું છે. રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માગસ્થાનિક રહીશોની એક જ માગ છે કે, વહેલી તકે રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી આ લપસણી જેવો બ્રિજનો સાચો ઉપયોગ થઈ શકે. કરોડોના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ અત્યારે તો માત્ર કાગળ પર જ વિકાસની વાતો કરે છે. વાસ્તવમાં તે લોકોના સમય અને ઈંધણ બગાડવાનું સાધન બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગે છે કે પછી આ 600 મીટરનો ટુકડો હજુ કેટલા વર્ષો સુધી આમ જ બિનઉપયોગી રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:05 am

અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી?:રિવોલ્વમાંથી માત્ર 2 ગોળી મળી, NRI ટાવરના CCTV બંધ, શક્તિસિંહના ભત્રીજા અને વહુનું મોતનું રહસ્ય ઘેરાયું

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીએ મોડી રાત્રે કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે અકસ્માતે તેની પત્ની રાજેશ્વરીબાને ગોળી માર્યા બાદ યશરાજસિંહેએ આપઘાત કર્યાની ઘટના બની હતી. જોકે આ મામલે કોઈ કારણ સામે આવ્યું નહોતું. પોલીસ દ્વારા દંપત્તિ વચ્ચે કોઈ ઝઘડો હતો કે કેમ તે તપાસવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસે જ્યારે ફ્લેટના સીસીટીવી ચેક કર્યા તો તે બંધ હાલતમાં હતા, જેથી દંપત્તિ રાત્રે ફ્લેટમાં ગયા તે પહેલા બાજુમાં આવેલા ફ્રુટ ટ્રકમાં જ્યુસ પીવા ગયા હતા. જેથી પોલીસ ત્યાંના સીસીટીવી તપાસી પતિ પત્ની વચ્ચેનું વર્તન જોયું તો તે સામાન્ય જ હતું. બીજી તરફ બનાવમાં બે જ ગોળી રિવોલ્વરમાંથી ચાલી છે, પરંતુ રિવોલ્વરમાંથી બાકીની પણ બે જ ગોળી મળી છે જેની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને રિવોલ્વરમાંથી માત્ર બે ગોળી મળીભાવનગર જિલ્લાના રાજવી પરિવારના અને કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજાએ યશરાજસિંહ ગોહિલ તથા તેમની પત્ની રાજેશ્વરીબાના અકસ્માતે મોત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાની અકસ્માત મોતની તપાસ એ ડિવિઝન એસીપી જે. ડી. બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે. બીજી તરફ FSL અને ફિંગપ્રિન્ટ માટેની તપાસ બાદ પોલીસે રિવોલ્વર કબજે લઇ FSLને મોકલી આપી છે. ઘટના બાદ પોલીસે કરેલી તપાસ દરમિયાન રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી મળી છે જેથી તે બાબતે પણ શંકા છે. રિવોલ્વરમાં ચાર જ ગોળી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. શક્તિસિંહના ભત્રીજા અને વહુનું મોતનું રહસ્ય ઘેરાયુંઆ ઉપરાંત, રાજેશ્વરીબાને માથાના પાછળના ભાગે ગોળી વાગી હોવાથી અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી? તે બાબતે પણ રહસ્ય સર્જાઇ રહ્યું છે. આ ઘટના અકસ્માતથી બની હતી કે અન્ય કોઇ કારણો છે તે મામલે તપાસ કરવામાં આવશે. બંને મૃતકોના ફોન પણ FSLમાં મોકલવામાં આવ્યા છે. યશરાજસિંહના રાજેશ્વરીબા સાથે બીજા લગ્ન થયા હતાબે મહિના પહેલા જ યશરાજસિંહના રાજેશ્વરીબા સાથે બીજા લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. નવા નવા લગ્ન થયા હોવાથી પતિ-પત્ની ગત બુધવારે રાત્રે તેમના ફોઈના ઘરે ડિનર માટે ગયા હતા. ત્યાંથી જ્યૂસ પીને ઘરે આવ્યા હતા અને બાદમાં બેડરૂમમાં ગયા હતા. લગભગ સાડા અગિયારેક વાગ્યે જ યશરાજસિંહની લાઈસન્સવાળી રિવોલ્વરથી ગોળી છૂટીને પત્ની રાજેશ્વરીબાના માથાના ભાગે વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ફ્લેટના CCTV બંધ હાલતમાં મળી આવ્યાયશરાજસિંહે માતાને જાણ કર્યા બાદ 108ને ફોન કર્યો હતો. તબીબી ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા ત્યારે યશરાજે પણ પોતાને ગોળી મારી મોત વ્હાલું કર્યું હતું. વસ્ત્રાપુર પોલીસે દંપતીની અવરજવર અને બોડી લેન્ગવેજ તપાસવા ગયો તો ફ્લેટના CCTV બંધ હાલતમાં મળી આવ્યા છે. કેટલાક સવાલોથી પોલીસ મુંઝવણમાં મૂકાઈજોકે, બીજીતરફ દંપતી જે સંબંધીને ત્યાં જમવા ગયા અને જ્યૂસ પીવા ગયા ત્યાંના CCTV ફૂટેજ મેળવતા બંને નોર્મલ મૂડમાં હોવાનું જણાયું છે, પરંતુ આ ઘટના પાછળ હજુ કેટલાક સવાલો પોલીસને મુંઝવણમાં મૂકતા તેના પરથી પરદો ઉચકવા માટે પોલીસે પુરાવા અને સાયન્ટિફિક રિપોર્ટ આધારે તપાસ તેજ કરી છે. ગોળી માથાના પાછળના ભાગે કેવી રીતે વાગી તે બાબતે અસમંજસની સ્થિતિઆ કેસમાં પોલીસને કેટલીક શંકાઓ ઉપજી રહી છે. પહેલા તો રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી કેમ હતી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. યશરાજસિંહને રિવોલ્વર આંગળીમાં પરોવીને ગોળ ગોળ ફેરવવાની આદત હતી તો ઘટના સમયે રિવોલ્વર કાઢવા જતા કે ગોળગોળ ફેરવતી વખતે આકસ્મિક ગોળી છૂટીને સીધી રાજેશ્વરીબાને માથાના પાછળના ભાગે જ કેવી રીતે વાગી તે બાબતે પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. FSLમાંથી બંને મૃતકોના ફોનનો રિપોર્ટ આવ્યા બાદ નક્કર માહિતી સામે આવશે?યશરાજસિંહના બીજા લગ્ન હોવાથી બંનેના ભૂતકાળ વિશે અને અન્ય બાબતોની ચકાસણી માટે ફોન FSLમાં મોકલવામાં આવ્યા છે. ફોનનો કેટલોક ડેટા અને અન્ય રિપોર્ટ આવ્યા બાદ નક્કર માહિતી સામે આવે ત્યારે જ આ સવાલોના જવાબ મળી શકે અને શંકાઓ પર પૂર્ણવિરામ મૂકાશે. 'અચાનક જ ફાયરિંગ થયું ને હું દોડી બેડરૂમમાં ગયો', યશરાજસિંહે 30 સેકન્ડમાં જ માથામાં ગોળી મારી લીધીઅમદાવાદ શહેરના પોશ ગણાતા જજીસ બંગલો રોડ ઉપર આવેલા NRI ટાવરના 502 નંબરના ફ્લેટમાં એક પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળીએ લીમડા સ્ટેટના રોયલ ફેમિલીને કારમો આઘાત આપ્યો છે. બે મહિના પહેલાં જ હાથેથી મીંઢોળ છૂટ્યો હતો અને હવે લોહીના ખાબોચિયામાં સજોડે લાશ થઈને ગોહિલ દંપતી પડ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) લોહીના ખાબોચિયા વચ્ચે બાજુ બાજુમાં લાશ; એકના એક દીકરાના મોતથી માતમઅમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરી મોડીરાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) ગોહિલ વંશ અને સેજકપુરનું કનેક્શનમૂળ રાજપૂતાનાના ગોહિલ વંશના સેજકજી ગોહિલે મેવાડથી સ્થળાંતર કર્યું અને સૌપ્રથમ જે નગર વસાવ્યું એ સેજકપુર નામે ઓળખાયું. ત્યાર બાદ તેમણે રાણપુર કબજે કર્યું. એ પછી તેમના વંશજોએ સિહોર અને ક્રમશઃ ભાવનગર રાજ્યનો વિસ્તાર કર્યો. રાજાશાહી વખતે ગુજરાતમાં ભાવનગર ઉપરાંત લાઠી અને રાજપીપળા ગોહિલવંશી ક્ષત્રિયોનાં મોટાં રાજ્યો હતાં. ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ મોટા ભાઈને ગાદી મળે અને નાના ભાઈ ફટાયા કુંવર તરીકે ગામો મેળવે અને પછી પોતાનાં પરાક્રમ વડે અન્ય વિસ્તાર જીતે એવી પરંપરા રહી છે. કેમ કહેવાયું હનુભાના લીમડા?લાઠીના ઠાકોરસાહેબ લાખાજીરાજ ગોહિલને બીજા પત્ની થકી ત્રણ સંતાનો હતાં. પ્રથમ પત્નીનાં સંતાનોને રાજપૂત પરંપરા મુજબ લાઠીની ગાદી મળી, પરંતુ બીજી પત્નીના ત્રણ કુંવર હનુભા, ફતેસિંહ અને અજાભાને લાખાજીરાજના અવસાન પછી એક ગામનો ગિરાસ મળ્યો હતો. ત્યાર બાદ કુંવર હનુભા અને તેમના ભાઈઓએ પોતાનાં પરાક્રમથી કાઠી ક્ષત્રિયો હસ્તકના આસપાસનાં બીજા ચાર ગામ જીતીને કુલ પાંચ ગામની રિયાસત સ્થાપી હતી, જેનું મુખ્ય ગામ લીમડા આજે પણ હનુભાના નામે લીમડા (હનુભાના) તરીકે ઓળખાય છે. રિયાસતના સ્થાપક હનુભાને સંતાનમાં એકમાત્ર દીકરી હોવાથી તેમના નિધન પછી નાનાભાઈ અજાભા લીમડીના દરબાર સાહેબ બન્યા. અજાભાના પૌત્ર ભાવસિંહજી અને ભાવસિંહજીના પૌત્ર હરિશ્ચન્દ્રસિંહજી, જે શક્તિસિંહ ગોહિલના પિતા થાય. હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છેશક્તિસિંહ ગોહિલ લીમડા સ્ટેટ(હનુભાના)ના છઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજિતસિંહ ગોહિલના દીકરા છે તેમજ હાલ તેઓ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે. આમ, તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા રણજિતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. શક્તિસિંહના પરિવારમાં કોણ કોણ છે?શક્તિસિંહને બે નાના ભાઈ છે, દુર્ગેશકુમારસિંહ અને શિવરાજસિંહ. શક્તિસિંહ ગોહિલ પોતે અપરિણિત છે. શિવરાજસિંહ ગોહિલને ચિંતનકુમારસિંહ અને યજુવેન્દ્રસિંહ નામે બે દીકરાઓ છે. જ્યારે દુર્ગેશકુમારસિંહ મૃતક યશરાજસિંહના પિતા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમાર લીમડા (હનુભા) પરિવારના ભાણેજ હોવાથી ઘનિષ્ઠ પારીવારિક સંબંધો ધરાવે છે. સરકારી સ્કૂલમાં અભ્યાસ અને ભણતાં ભણતાં જ બન્યા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો હતો. સરકારી પ્રાથમિક શાળામાં 1થી 4 ધોરણ બાદ સુરેન્દ્રનગરની શાળામાં ભણ્યા અને ત્યાર બાદ સોનગઢ ખાતે આર્ય સમાજના ગુરુકુળમાં અભ્યાસ કર્યો. તેઓ જૂની સ્ટ્રીમના છેલ્લા વિદ્યાર્થી હતા. બાદમાં ભાવનગરમાં સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટમાં કેમિસ્ટ્રી વિષય સાથે બીએસસી કર્યા બાદ LLB, ડિપ્લોમા ઈન જર્નલિઝમ અને બાદમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLMનો અભ્યાસ કર્યો. આ સમયગાળા દરમિયાન રાજકીય રીતે પણ જિલ્લા પંચાયતની બે ચૂંટણી લડ્યા હતા. ભણતરના એ સમયે જ ધારાસભ્ય પણ બની ગયા હતા. પરિવાર પોતાની રીતે વ્યસ્ત રહે છે. રાજકીય પ્રવૃત્તિમાં મારે જરૂર પડે ત્યારે પડદા પાછળ રહીને મદદ કરે છે, પણ સક્રિય રીતે અન્ય કોઈ રાજકારણમાં નથી. આ સમાચાર પણ વાંચો… અમદાવાદમાં કાકા સાથે આપઘાત કરનારી ભત્રીજી સગીર: બેવાર કેનાલમાં પડવા ગયાં ને અવરજવરથી હોટલમાં જીવન ટૂંકાવ્યું, કોલેજથી આત્મહત્યા સુધીની એક-એક વાત અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી 'ડેઇલી સ્ટે' હોટલમાં એક પ્રેમી યુગલે 17 ડિસેમ્બરે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું છે, જ્યારે યુવતીનો બચાવ થયો છે. આ કેસમાં કિશોરીની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી સગીર વયની છે. અગાઉ કાકા-ભત્રીજીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે બે વખત ગયાં હતાં, પરંતુ વાહનોની સતત અવરજવર હોવાથી વિચાર પડતો મૂક્યો હતો. તેના બીજા દિવસે જ સવારે હોટલમાં હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:05 am

મગરને લાકડીથી ક્રૂરતાપૂર્વક માર માર્યો, VIDEO:વડોદરાના ચોરભુજ ગામે મગરને મોતને ઘાટ ઉતારી તળાવમાં ફેંક્યો, વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામાં એક અત્યંત ક્રૂર અને નિર્દય ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક લોકોએ એક મગરને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો છે. આ ઘટનામાં વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી બંનેને જેલ ભેગા કરી દીધા છે. મગરને લાકડીઓથી ક્રૂરતાપૂર્વક માર માર્યોઆ ઘટના રાત્રિ દરમિયાન બની હતી. બે લોકોએ મળીને મગરને લાકડીઓ વડે ખૂબ જ બેરહમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેને તળાવમાં ફેંકી દીધો હતો. આ ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વીડિયો વાઇરલ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી છે. વન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. બે આરોપીની ધરપકડ કરી જેલ ભેગા કર્યાકરજણ RFO જયેશ રાઠોડે જણાવ્યું હતું કે, મગરને મારી નાખવાનો ઘટનામાં અમે ચોરભુજ ગામના બે આરોપી વિઠ્ઠલભાઈ કાભઈભાઈ નાયક અને બિપિનભાઈ રાયજીભાઈ નાયકની ધરપકડ કરી છે. આ બંનેની ધરપકડક કરીને કરજણ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. મગરના મૃતદેહને રિકવર કરી પોસ્ટમોર્ટમ કરાવ્યુંતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચોરભુજ ગામની બાજુમાં જે તળાવ છે, તેમાંથી મગર બહાર આવ્યો હતો. ત્યાં હાજર કેટલાક લોકોએ ઉશ્કેરાઈને મગરને ડંડા વડે માર માર્યો હતો અને તેમાં મગરનું મોત થયું હતું. જેથી તેને ફરીથી તળાવમાં ધકેલી દીધો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ અમે તપાસ કરી અને આ બંને આરોપીઓની ઓળખ કરી હતી. બંને ચોરભુજ ગામમાં ખેત મજૂરી કરે છે. અમે મગરનો મૃતદેહ રિકવર કરી છે અને તેનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. વન્યજીવોને નુકસાન પહોંચાડવા બદલ 3થી 7 વર્ષની જેલતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મગર એ શેડ્યુલ-1નું પ્રાણી છે. આ કાયદા હેઠળ વન્યજીવોને નુકસાન પહોંચાડવા બદલ 3 થી 7 વર્ષ સુધીની જેલ અને નવા નિયમો મુજબ 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ એક બિન-જામીનપાત્ર ગુનો છે. અમે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરીશું અને કોર્ટ સમક્ષ રજૂ કરીશું. હવે કોર્ટ જ આ અંગે અંતિમ સજા નક્કી કરશે. વન વિભાગ દ્વારા તમામ પુરાવા અને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોઉલ્લેખનીય છે કે મગર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત પ્રાણી છે અને તેની હત્યા ગંભીર ગુનો ગણાય છે. આ ઘટના વન્યજીવો પ્રત્યેની માનવીય ક્રૂરતા અને જાગૃતિના અભાવને દર્શાવે છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરેમગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? આ સમાચાર પણ વાંચો લોખંડની સાંકળથી કૂતરાને બાંધ્યા, ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર ક્રૂરતા14 જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક આવેલ ચિખોદરા પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર થઈ રહેલ ક્રૂરતાનો પર્દાફાશ થયો છે. લોખંડની સાંકળથી કૂતરાને બાંધી રાખ્યા હતા, ભોજન પણ આપતો નહોતો. જેને પગલે કપુરાઇ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 12:05 am

દાહોદ-હિંમતનગર ST બસમાં મુસાફરનું આકસ્મિક મોત:ગોધરા નજીક પરવડી બાયપાસ પાસે બની ઘટના

દાહોદથી હિંમતનગર જતી ST બસમાં મુસાફરી દરમિયાન એક આધેડ મુસાફરનું આકસ્મિક મોત થયું છે. આ ઘટના ગોધરા નજીક પરવડી બાયપાસ પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 45 વર્ષીય જસવંતસિંહ પરમાર નામના મુસાફર બસની સીટ પર બેઠા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. બસમાં હાજર અન્ય મુસાફરો અને કંડક્ટરે તરત જ દરમિયાનગીરી કરી હતી. મુસાફરની ગંભીર હાલત જણાતા બસને તાત્કાલિક પરવડી નજીક થોભાવી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. મૃતક મુસાફરની ઓળખ જસવંતસિંહ પરમાર (ઉંમર 45) તરીકે થઈ છે. તેઓ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર ગામના વતની હતા અને દાહોદથી બાયડ તરફ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જસવંતસિંહના મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 11:37 pm

IND Vs NZ: ભારતે બીજી T20માં પણ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ઈશાન-સૂર્યાની તોફાની બેટિંગ, સીરિઝમાં 2-0ની આગળ

IND Vs NZ LIVE Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા, કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રન તો રચિન રવીન્દ્રએ 26 બોલમાં 44 રન ફટકાર્યા હતા, અર્શદીપ સિંહે મોંઘો સાબિત થયો હતો તેને 4 ઓવરમાં 53 રન અપાવ્યા હતા, એક પણ વિકેટ મળી ન હતી, બીજી તરફ કુલદીપ યાદવે 2 વિકેટ ખેરવી હતી. તો હાર્દિક પંડયા, વરુણ અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી. ઈશાન કિશને 32 બોલમાં 76 રન ફટકાર્યા 209 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ટીમ ઈન્ડિયા અભિષેક શર્મા અને સંજૂ સેમસનની જોડી ઉતરી હતી પણ બંને ઓપનર બેટ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

ગુજરાત સમાચાર 23 Jan 2026 10:32 pm

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ.એ નિર્ણય પાછો ખેંચ્યો:ગુજરાત હાઇકોર્ટે એક અરજી સંદર્ભમાં અંગ્રેજી વિભાગના વડા તરીકે કેમિસ્ટ્રી પ્રોફેસરની નિમણૂક પર પ્રશ્ન ઉઠાવ્યો

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ વડા તરીકે કેમિસ્ટ્રીના પ્રોફેસરની નિમણૂક કરવાના નિર્ણય પર ગુજરાત હાઇકોર્ટે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટના પ્રશ્નોત્તર બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય પાછો ખેંચ્યો છે. કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટીને અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ HOD નિયુક્ત કર્યાઆ કેસમાં અંગ્રેજી વિભાગના પૂર્વ વડા આદેશ પાલના ગયા વર્ષના જૂનમાં નિવૃત્ત થયા બાદ યુનિવર્સિટીએ કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટી સભ્ય કોકિલાબેન પરમારને અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ HOD તરીકે નિયુક્ત કર્યા હતા. આ નિર્ણય અંગ્રેજી વિભાગની ફેકલ્ટી સભ્ય હેતલ પટેલને સ્વીકાર્ય લાગ્યો નહોતો. તેમણે કેમિસ્ટ્રી શિક્ષકને અંગ્રેજી વિભાગના ઇન્ચાર્જ વડા તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને પડકારતા એજ્યુકેશન ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. ફેકલ્ટી સભ્યોની સિનિયોરિટી હજી નક્કી થવાની બાકીHNGUના વકીલ મીત શાહે યુનિવર્સિટીના નિર્ણયનું સમર્થન કરતાં રજૂઆત કરી હતી કે, અંગ્રેજી વિભાગના ફેકલ્ટી સભ્યોની સિનિયોરિટી હજી નક્કી થવાની બાકી છે. વધુમાં કોકિલાબેન કેમિસ્ટ્રી શિક્ષક હોવા છતાં તેમને માત્ર વિભાગની વહીવટી કામગીરી સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી. તેમણે ટ્રિબ્યુનલમાં હેતલ પટેલની અરજી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ સેવા સંબંધિત મુદ્દો નથી, પરંતુ માત્ર યુનિવર્સિટીની તાત્કાલિક વહીવટી વ્યવસ્થા છે. હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટે આપ્યો હતોપરંતુ ટ્રિબ્યુનલે 10 ઓક્ટોબર, 2025ના રોજ HNGUના આ નિર્ણય પર સ્ટે આપ્યો હતો. કોકિલાબેને ટ્રિબ્યુનલ દ્વારા તેમને સાંભળ્યા વિના સ્ટે આપ્યો હોવાના આધારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. એક અઠવાડિયા બાદ હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટે આપ્યો હતો. યુનિવર્સિટીએ નિયમોનું ઉલ્લંઘન કર્યુંયુનિવર્સિટીએ પણ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે અંગ્રેજી વિભાગની ફેકલ્ટી સભ્ય હેતલ પટેલની અરજી સેવા સંબંધિત મુદ્દો ન હોવાથી ટ્રિબ્યુનલને તેને સાંભળવાનો અધિકાર નથી. હેતલ પટેલના વકીલે દલીલ કરી હતી કે યુનિવર્સિટીએ નિયમોનું ઉલ્લંઘન કરીને કેમિસ્ટ્રી ફેકલ્ટી સભ્યને ઇન્ચાર્જ HOD બનાવ્યા અને તેમને અવગણ્યા હતાં. યુનિવર્સિટી પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકી નહોતીહાઇકોર્ટે યુનિવર્સિટીને પ્રશ્ન કર્યો હતો કે કેમિસ્ટ્રીનો શિક્ષક અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીની શૈક્ષણિક સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકે? યુનિવર્સિટી આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકી નહોતી અને કહ્યું હતું કે કોકિલાબેનની ભૂમિકા માત્ર વહીવટી નિર્ણયો સુધી મર્યાદિત છે. છતાં, કોર્ટે સતત પ્રશ્ન કર્યો કે વિષયમાં નિષ્ણાત ન હોય એવો HOD વિદ્યાર્થીને કેવી રીતે મદદ કરી શકે ? હાઇકોર્ટના સ્ટે આદેશને કારણે કોકિલાબેનને બદલી શકતી નહોતીયુનિવર્સિટીએ ડ્રાફ્ટ આદેશ રજૂ કર્યો હતો, જેમાં કેમિસ્ટ્રી શિક્ષકને બદલીને અંગ્રેજી વિભાગના ફેકલ્ટી સભ્ય તપલ ચક્રવર્તીને ઇન્ચાર્જ HOD બનાવવાનો પ્રસ્તાવ હતો. યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે હાઇકોર્ટના સ્ટે આદેશને કારણે તે કોકિલાબેનને બદલી શકતી નહોતી. જો કે હેતલ પટેલે આ પ્રસ્તાવ પર પણ નિયમો અને સિનિયોરિટીના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. યુનિવર્સિટીએ પોતાની અરજીઓ પાછી ખેંચી લીધીHNGUના નવા નિર્ણય બાદ કોકિલાબેન અને યુનિવર્સિટીએ પોતાની અરજીઓ પાછી ખેંચી લીધી હતી. હેતલ પટેલ દ્વારા ચક્રવર્તીની પસંદગી સામે ઉઠાવવામાં આવેલી ફરિયાદ અંગે હાઇકોર્ટે કહ્યું હતું કે હેતલ પટેલ માટે કાયદા મુજબ યોગ્ય સત્તાધિકારી સમક્ષ આ મુદ્દો પડકારવાનો માર્ગ ખુલ્લો રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 10:13 pm

જામનગરના વૃદ્ધના હાડકાના અત્યંત દુર્લભ કેન્સરની સફળ સર્જરી:એઇમ્સ રાજકોટના નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીનો પગ કાપવાથી બચાવી નવું જીવન આપ્યું

રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના 73 વર્ષના એક વૃદ્ધ દર્દીના પગમાં રહેલા હાડકાના અત્યંત દુર્લભ કેન્સરની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ તેમનો પગ બચાવી લીધો છે. એઇમ્સ રાજકોટમાં આ પ્રકારની પ્રથમ 'મેગા પ્રોસ્ટેસિસ રિપ્લેસમેન્ટ' સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સામાન્ય રીતે આવી અત્યાધુનિક સર્જરી દેશના ગણ્યાગાંઠ્યા અને પસંદગીના કેન્સર કેન્દ્રોમાં જ ઉપલબ્ધ હોય છે, જે હવે રાજકોટ એઇમ્સમાં પણ શક્ય બની છે. 'પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા' નામનું અત્યંત દુર્લભ કેન્સર હતુંપ્રાપ્ત વિગત મુજબ જામનગરના 73 વર્ષીય દર્દી લાંબા સમયથી ઘૂંટણમાં અસહ્ય દુખાવો અને પગ પર વજન નહીં મૂકી શકવાની તકલીફથી પીડાતા હતા. આ ગંભીર ફરિયાદ સાથે તેઓ એઇમ્સની ઓ.પી.ડી. (OPD) માં તપાસ માટે આવ્યા હતા. ઓ.પી.ડી.માં વિવિધ રિપોર્ટ્સ અને નિદાન દરમિયાન માલુમ પડ્યું કે તેમના પગના હાડકાના ઉપરના ભાગમાં (પ્રોક્સિમલ ટિબિયા) 'પ્રાઇમરી નોન-હોજકિન્સ લિમ્ફોમા' નામનું અત્યંત દુર્લભ કેન્સર હતું. આ કેન્સરના કારણે હાડકામાં 'પેથોલોજિકલ ફ્રેક્ચર' પણ થયું હતું. અત્યાધુનિક 'લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ' સર્જરીદર્દીની સ્થિતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ તબક્કાવાર સારવારનું આયોજન કર્યું હતું. અને નિદાન બાદ સૌ પ્રથમ સારવારના ભાગરૂપે દર્દીને કીમોથેરાપી આપવામાં આવી હતી. કીમોથેરાપીનો કોર્સ પૂર્ણ થયા બાદ ગત 16 જાન્યુઆરીનાં રોજ 10 નિષ્ણાંત ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા અત્યાધુનિક 'લિમ્બ-સેલ્વેજ મેગા પ્રોસ્ટેસિસ' સર્જરી હાથ ધરવામાં આવી હતી. કેન્સરગ્રસ્ત હાડકાના ભાગને અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરાયોઆ જટિલ ઓપરેશનમાં ઓર્થોપેડિક ઓન્કો સર્જન અક્ષત ગુપ્તા, ઓર્થોપેડિક સર્જન રવિ કુમાર અને અભિષેક કુમાર મિશ્રા, પ્લાસ્ટિક સર્જન નૂપુર અગ્રવાલ તેમજ એનેસ્થેટિસ્ટ સુમિત બંસલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. સર્જરી દરમિયાન કેન્સરગ્રસ્ત હાડકાના ભાગને અત્યંત સાવચેતીપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ખાસ તૈયાર કરવામાં આવેલ 'મેગા પ્રોસ્ટેસિસ' (કૃત્રિમ સાંધો/હાડકું) બેસાડવામાં આવ્યો હતો. લિમ્બ-સેલ્વેજ ટેકનિકથી દર્દીનો પગ બચ્યોઆ સર્જરી એટલા માટે પણ મહત્વની છે કારણ કે અગાઉ આવા કિસ્સાઓમાં ઘણીવાર દર્દીનો આખો પગ કાપવાની નોબત આવતી હતી, પરંતુ લિમ્બ-સેલ્વેજ ટેકનિકથી દર્દીનો પગ બચાવી શકાયો છે. ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો અને તેઓ સંપૂર્ણપણે સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હવે આશાનું નવું કિરણ જાગ્યુંઉલ્લેખનીય છે કે, રાજકોટ એઇમ્સમાં મેજર સર્જરીની સફળતા બદલ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. ડૉ. એલ.એન. દોરૈરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ અને મેડિકલ સુપ્રિડેન્ટ પ્રો. ડો. પિંકી સાહુએ સર્જરી કરનાર તબીબોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે રાજકોટમાં જ આવી અત્યાધુનિક સારવાર મળતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે હવે આશાનું નવું કિરણ જાગ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 10:02 pm

જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ

Today Gold and Silver Latest Price : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. આજે સવારના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે. આજના દિવસ દરમિયાન સોનાના ભાવમાં 4000 રૂપિયાની, જ્યારે ચાંદીના ભાવમાં 12000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીની ઉથલપાથલ ફ્યૂચર સોનાનો ભાવ રાત્રે સાડા નવ વાગ્યા સુધીમાં 1,56,950 રૂપિયા પર પહોંચી ગયો છે.

ગુજરાત સમાચાર 23 Jan 2026 10:02 pm

હવેથી વર્ગ-3ની ભરતી માટે કમ્બાઈન્ડ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે:ગ્રુપ-A અને B માટે અલગ મુખ્ય પરીક્ષા, વર્ગ-3ની ભરતી પરીક્ષા માટે નવા 'CCE નિયમો-2026' જાહેર

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક સહિતના વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી માટે નવો નિયમ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 22 જાન્યુઆરી, 2026ના રોજ ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની જગ્યાઓ માટે 'ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2026' ની જાહેરાત કરવામાં આવી છે. નવા નિયમો મુજબ પરીક્ષા બે તબક્કામાં યોજાશે પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination): ગ્રુપ-A અને ગ્રુપ-B ની તમામ જગ્યાઓ માટે એક સમાન પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની અને 2 કલાકની રહેશે, જેમાં ગુજરાતી (15 ગુણ), અંગ્રેજી (15 ગુણ), સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો (30 ગુણ), ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (30 ગુણ) અને રીઝનિંગ (60 ગુણ) ના હેતુલક્ષી પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. મુખ્ય પરીક્ષા (Main Examination): ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ-અલગ મુખ્ય પરીક્ષા લેવાશે. મેરિટ લિસ્ટપ્રાથમિક પરીક્ષા માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે રહેશે, તેના ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના ગુણોના આધારે કરવામાં આવશે. કયા હોદ્દાઓનો સમાવેશ?આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સબ-રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ્સ સહિત અનેક વર્ગ-3 પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિવાલય, જિલ્લા કલેક્ટર કચેરીઓ, પંચાયત સેવા પસંદગી મંડળ હેઠળની કચેરીઓ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિયમો લાગુ પડશે. ઉંમર અને લાયકાતઉમેદવારે ઓછામાં ઓછા 20 વર્ષ પૂર્ણ કર્યા હોવા જરૂરી છે. મહત્તમ ઉંમર સંબંધિત ભરતી નિયમો મુજબ રહેશે. શૈક્ષણિક લાયકાત પણ સંબંધિત વિભાગના ભરતી નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે. પ્રિફરન્સ અને ફાળવણીમુખ્ય પરીક્ષા બાદ દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારે વિભાગ/હોદ્દાની પસંદગી આપવાની રહેશે. એકવાર આપેલી પ્રિફરન્સ અંતિમ ગણાશે અને પછી ફેરફાર મંજૂર નહીં થાય. મેરીટ ક્રમ અને ખાલી જગ્યાઓના આધારે ફાળવણી કરવામાં આવશે. 2023ના જૂના નિયમો રદનવા નિયમો લાગુ થતાં 2023ના કમ્બાઇન્ડ પરીક્ષા નિયમો રદ કરવામાં આવ્યા છે. જો કે જૂના નિયમો હેઠળ શરૂ થયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ ગણાશે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે હવે એકજ પરીક્ષા દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીની તક મળશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:45 pm

આગિયોલમાં વસંતપંચમીએ રામદેવપીર મંદિરે મેળો:56 ભોગનો અન્નકૂટ, શ્રદ્ધાળુઓએ તુલાદાન કર્યું

હિંમતનગરના આગિયોલમાં આવેલા રામદેવપીર મંદિરે વસંત પંચમી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામદેવપીર ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેની બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. મેળામાં 100 થી વધુ વેપારીઓએ વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. સ્થાનિક અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારથી બપોર સુધીમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાની માનતા પૂર્ણ થતાં રામદેવપીરના જયઘોષ સાથે સાકર, પેંડા અને ગોળનું તુલાદાન કર્યું હતું. નાના બાળકોથી લઈને વૃદ્ધોએ પણ આ તુલાદાનમાં ભાગ લીધો હતો. દર વર્ષે વસંત પંચમીના દિવસે આ મંદિરે મેળો ભરાય છે, જેમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે આ દિવસે આશરે 300 જેટલા શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરે છે. ઘણા ભક્તો શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલીને રામદેવજીના દર્શન કરવા આવે છે.ઉલ્લેખનીય છે કે આ મંદિરે ભાદરવા માસમાં નોમના દિવસે નેજા ઉત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે આ મંદિરની એક વિશેષ પરંપરા છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:45 pm

સુરેન્દ્રનગરમાં NSUI દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ:સીયુશાહ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ શપથ લીધા

ગુજરાત NSUI દ્વારા 'ડ્રગ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર NSUI અને સી.યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના દુષ્પરિણામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં NSUI ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સચિવ ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત કોંગ્રેસ ડેલિગેટ ધર્મેન્દ્રસિંહ પરમાર, સુરેન્દ્રનગર NSUIના પ્રમુખ યશપાલસિંહ પરમાર, સી.યુ. શાહ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડૉ. શ્યામ શાહ અને ડીન ડૉ. સંજય મેહતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ઉત્સાહજનક હાજરી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:45 pm

રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવાયો, કલેક્ટરે સશક્તીકરણ પર ભાર મૂક્યો:લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અપાયા

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે લાભાર્થીઓને ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમોનું વિતરણ કર્યું. આ ઉપરાંત, ‘દીકરી વધામણા કીટ’, વિદ્યાર્થીનીઓ માટે એજ્યુકેશન કીટ અને હાઈજિન કીટ પણ આપવામાં આવી હતી. કલેક્ટર ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણીનો મુખ્ય હેતુ દીકરીઓને સમાજમાં યોગ્ય અને મહત્વપૂર્ણ સ્થાન અપાવવાનો, તેમના અધિકારોનું સંરક્ષણ કરવાનો તથા શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે ઉમેર્યું કે, દીકરીઓના સશક્તીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ દરેક નાગરિકોએ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલબહેન રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ.જી. વારસુર, ઈણાજ બાલિકા પંચાયતના સભ્યો અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, બાલિકાઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને લોકશાહીની પ્રક્રિયાની સમજ મળે તે હેતુથી રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના કરવામાં આવી છે. દીકરીઓને લોકશાહીનો પાઠ ભણાવતું આ બાલિકા પંચાયત મોડેલ અમલમાં મૂકનાર ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રણી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:41 pm

ભરૂચમાં ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, ચોરાયેલા તમામ વાહનો રિકવર કરાયા

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ભરૂચ શહેર, નબીપુર અને પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલા તમામ વાહનો રિકવર કર્યા છે. આ મામલે 19 જાન્યુઆરીના રોજ મકતમપુરના રફીયુદીન સમશુદીન સૈયદે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીની રાત્રે મીરા ઓટો કન્સલ્ટ પાસે પાર્ક કરેલી તેમની ઇકો કાર ચોરાઈ ગઈ હતી. ફરિયાદ બાદ પોલીસને બાતમી મળી હતી કે ચોરાયેલી ઇકો કાર ભોલાવ કોલેજ રોડ પર જેપ્સન કંપની નજીકથી શીતલ સર્કલ તરફ પસાર થવાની છે. પોલીસે વોચ ગોઠવી કારને રોકી તેમાં સવાર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ વસીમ ઈરફાનભાઈ મલીક (રહે. પાલેજ) અને રીયાઝખાન શકીલખાન પઠાણ જણાવ્યું હતું. તેમણે મીરા ઓટો કન્સલ્ટ ખાતેથી ઇકો કાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, નબીપુર ચોકડી બ્રિજ નીચે અને પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ અન્ય ઇકો કાર ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓની માહિતીના આધારે તમામ ચોરાયેલી ઇકો કારો, એક છૂટી પાડેલી ઇકો અને ચોરીમાં ઉપયોગ કરાયેલ બર્ગમેન મોપેડ સહિત કુલ 7,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:38 pm

વઢવાણમાં ઉપસરપંચના ત્રાસથી દવા પી લેતા યુવકનું મોત:ડેટિંગ એપ પર યુવતીને ભૂલથી નંબર આપી દેતા જાહેરમાં માર મારી માફી મંગાવી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે ગામના ઉપસરપંચના માનસિક ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારજનોએ ઉપસરપંચ સામે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકે ડેટિંગ એપ પર કોઈ યુવતીને ઉપસરપંચનો નંબર આપ્યો પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક જયેશ ગોવિંદભાઈ મેણીયાએ ભૂલથી એક ડેટિંગ એપ્લિકેશન પર કોઈ કોમલ આઈડીને ગામના ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચરનો મોબાઈલ નંબર આપી દીધો હતો. જાહેરમાં માર મારી માફી મંગાવી વિડીયો ઉતાર્યોઆ બાબતથી ઉશ્કેરાઈને ઉપસરપંચ રાજુભાઈએ જયેશને ગામના ઝાંપે માર માર્યો હતો. ત્યારબાદ રાજુભાઈએ જયેશને બાઈક પર બેસાડી ગામના ચોકમાં લઈ જઈ જાહેરમાં માફી મંગાવી તેનો વીડિયો ઉતાર્યો હતો અને ફરી માર માર્યો હતો. રાજુભાઈએ જયેશને ફોનમાંથી બધું ડિલીટ કરવા અને કોઈને ન કહેવા ધમકી આપી હતી, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તું દવા પીને મરી જજે અને ગામમાં દેખાતો નહીં : ઉપસરપંચની ધમકીઉપસરપંચ રાજુભાઈએ જયેશને એમ પણ કહ્યું હતું કે, મારો મોબાઈલ નંબર કોઈને કેમ આપે છે? કચ્છવાળા કોમલબેન મારી સાથે બોલાચાલી કરે છે, જેથી તું દવા પીને મરી જજે અને ગામમાં દેખાતો નહીં. આ અપમાન અને ધમકીથી લાગી આવતા જયેશ મેણીયાએ પોતાના ઘરે બાથરૂમમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત તેને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમસ્ત કોળી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને ન્યાયની માગ કરી હતી. વઢવાણ પોલીસ મથકે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડી પરિવારજનોને સોંપ્યો હતો. મૃતકના પિતાએ ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચર સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:35 pm

શંખેશ્વર મુખ્ય દેરાસરમાં ધ્વજા માટે 52 લાખનો ચડાવો:વસંતપંચમીએ 108 જિનાલયમાં પણ ધ્વજારોહણ મહોત્સવ ઉજવાયો

જૈનતીર્થ શંખેશ્વર ખાતે વસંતપંચમીના શુભ દિને ધ્વજારોહણ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે અતિ પ્રાચીન શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના બાવન જિનાલય અને 108 પાર્શ્વનાથ જિનાલયની સાલગીરી ઉજવવામાં આવી હતી. મુખ્ય દેરાસર, બાવન જિનાલયમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ધ્વજા ચડાવવા માટે રૂપિયા 52 લાખ બે હજારનો ચડાવો બોલાયો હતો. ઇન્દોરના શ્રેષ્ઠી જયસિંગભાઈ શાહે આ બોલી લઈ ધ્વજા ચડાવી હતી. આ ઉપરાંત, 108 પાર્શ્વનાથ જિનાલયમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ગચ્છનાયક જ્યોતિષાચાર્ય પૂ. ડો. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ગચ્છાધિપતિ પૂ. કુલચંદ્રસૂરીશ્વરજી (કે.સી. મહારાજા)ની નિશ્રામાં થઈ હતી. આ 37મી વર્ષગાંઠ પ્રસંગે દેવકુલિકાના દાતાઓ દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત, 108 પાટલા પૂજન, 108 પાર્શ્વનાથ મહા પૂજન અને મહા માંગલિક જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:34 pm

સુરતમાં આહિર સમાજનો 32મો સમૂહલગ્ન સમારોહ યોજાયો:NRI સહિત 194 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા, સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રથી થઈ: પાટીલ

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 32માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ NRI સહિત 194 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. જળશક્તિમંત્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ‘સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ’જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જે આજે વટવૃક્ષ બની છે. આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કોરોનાકાળ દરમિયાન જોવા મળ્યું હતું. કોરોનાના કપરા સમયને યાદ કરતા તેમણે જણાવ્યું કે, આહિર સમાજના તબીબોએ નિઃસ્વાર્થ ભાવે રાત-દિવસ જનતાની સેવા કરી છે, જે ખરેખર વંદનીય છે. ‘વિપશ્યના દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે’વધુમાં પાટીલે કહ્યું હતું કે, હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. વિપશ્યના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, વિપશ્યના દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને તે જીવનના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે છે. તેમણે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી નવદંપતીઓના સુખી જીવનની કામના કરી હતી. તેમણે પ્રભુતામાં પગલાં પાડી રહેલા તમામ દંપતીઓની જીવનની તમામ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુ કાછડે જણાવ્યું હતું કે, આહિર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલા માત્ર સાત લગ્નથી શરૂ થયેલી શ્રુંખલા આજે 32માં સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે. આ સફર સમાજની જાગૃતિનું પ્રતીક છે. અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરુ અને સાત ફેરા યોજના હેઠળ સાત કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહલગ્નમાં જોડાઈને જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ સૌ નવદંપતિઓનું લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 9:01 pm

હિંમતનગરમાં મેરેથોન માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર:25 જાન્યુઆરીએ સવારે 6થી 11 વાગ્યા સુધી અમલ રહેશે

સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર ખાતે 25 જાન્યુઆરીના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન દોડને કારણે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ પડશે. જિલ્લા કલેક્ટરે શુક્રવારે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ, 25 જાન્યુઆરીએ સવારે 6 થી 11 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાની આશરે 6 કિલોમીટરની મેરેથોન દોડ યોજાશે. સ્પર્ધકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. મેરેથોન દોડ પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ પોસ્ટ ઓફિસ, ટાવર સર્કલ, મહાવીરનગર સર્કલ, છાપરિયા ચાર રસ્તા, મોતીપુરા કેનાલ થઈ બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈને ફરી હેડક્વાર્ટર પહોંચશે. આ નિર્ધારિત રૂટ પર ડાબી બાજુના માર્ગ પર સવારે 6 થી 11 વાગ્યા સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ જમણી બાજુના માર્ગનો ઉપયોગ કરીને પસાર થવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:56 pm

ગોધરાના ગોંદ્રા વિસ્તારમાં ગટર સમસ્યાનો ઉકેલ:પાલિકા દ્વારા લીકેજ ગટર લાઇનનું સમારકામ શરૂ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટરની લાંબા સમયથી વકરેલી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ગોધરા નગર પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ગોંદ્રા વિસ્તારમાં ગટર લાઇનના લીકેજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ગોંદ્રા વિસ્તારના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા હતા. આના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગટરના લીકેજને કારણે વિસ્તારમાં સતત દુર્ગંધ અને ગંદકી ફેલાતી હતી, જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય પણ સેવાઈ રહ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે ગોધરા નગર પાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. લોક માંગણીને ધ્યાનમાં રાખીને, પાલિકાએ આ કામગીરી હાથ ધરી છે. પાલિકાની ટીમ દ્વારા મશીન અને શ્રમિકોની મદદથી ગટર લાઇનના લીકેજનું સમારકામ ચાલી રહ્યું છે. લાંબા સમયની હાલાકી બાદ કામગીરી શરૂ થતાં સ્થાનિકોએ રાહત અનુભવી છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:53 pm

પ્રતિબંધિત વ્હાઈટ LED લાઈટ લગાવેલા વાહનનો સામે સ્પેશિયલ ડ્રાઈવ:વાહનચાલકો પકડાશે તો રૂ.1000 નો દંડ, ડીલર સામે ડીલરશીપ બંધ કરવાની કાર્યવાહી; 2025માં 10 લાખ દંડ વસૂલ્યો

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો હોવાથી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઈટ લગાવેલા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી હવે અમદાવાદ RTO, સાણંદ અને વટામણ ચેક પોસ્ટના ઇન્સ્પેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવશે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચેકિંગની કામગીરી કરશે. જે પણ વાહનમાં આંખોને આંજતી તીવ્ર પ્રકાશવાની લાઇટ લગાવેલી હશે તો તેની પાસેથી એક હજાર દંડ વસૂલવામાં આવશે. જોકે, અત્યાર સુધી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવા છતાં એક પણ વાહનનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું નથી. માત્ર એક હજારનો દંડ વસૂલીને છોડી દેવામાં આવતા વાહન ચલણો નિયમોનું પાલન કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાનછેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. યુવાનો વટ પાડવા માટે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તેમાં નિયમ વિરુદ્ધની લાઈટો લગાવી ગાડીઓ ચલાવતા હોય છે. નિયમ વિરોધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. ડીલરો પકડાશે તો ડીલરશીપ બંધ કરવાની કાર્યવાહીજેને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોની ચકાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. જેથી અમદાવાદ શહેર RTO ઇન્સ્ટેક્ટર, સાણંદ અને વટામણ ચેક પોસ્ટ ઇન્સ્પેક્ટર દ્વારા આવા વાહનો ચાલકો તવાઈ બોલાવવામાં આવશે. તેમજ નવા વાહનોનું વેચાણ કરતા સમયે CMVR રૂલ્સ અંતર્ગત જ લાઇટ લગાવવા માટે RTO અમદાવાદ દ્વારા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. જો ડીલરો CMVR રૂલ્સનું પાલન નહીં કરે અને નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવશે તો તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ડીલરો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવતા પકડાશે તો ડીલરશીપ બંધ કરવાની અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમદાવાદ RTO કરશે. વાહનચાલકો પકડાશે તો રૂ.1000 નો દંડતેમજ જૂના વાહનોમાં વ્હાઈટ બલ્બ લગાડેલા છે તેવા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી આંખો આંજાતી તીવ્ર પ્રકાશવાળી લાઇટ લગાવેલી હશે તો તેને અટકાવી સ્થળ પર જ એક હજારનો દંડ વસૂલવામાં આવશે. બીજી તરફ જો તે પકડાશે તો બીજી વખત પણ એક હજારનો દંડ વસૂલવામાં આવશે. નિયમ પ્રમાણે વ્હાઈટ એલઇડી લગાવી શકાય છે પરંતુ કેટલાક વાહન ચાલકો તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવતા હોય છે. વર્ષ 2025માં 10 લાખ દંડ વસૂલ્યોજે નિયમ વિરુદ્ધ છે અને તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025માં જ અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવતું હોવા છતાં નિયમનું પાલન એટલે માટે થતું નથી કારણ કે માત્ર દંડ જ ફટકારવામાં આવે છે. અત્યાર સુધી એકપણ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા તેવી એકપણ ગાડી નથી કે જેનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું હોય. માત્ર દંડ લઈને છોડી દેવામાં આવતા અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા છે. તમામ ડીલરોને સૂચના આપવામાં આવી: નીરવ બક્ષીઅમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે જે પણ નવા વાહનોનું ડીલરો વેચાણ કરી રહ્યા છે તેવા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. કે આપના દ્વારા CMVR રૂલ્સ અંતર્ગત જે વાહનોનું વેચાણ કરવામાં આવે છે, વ્હાઈટ એલઇડીનું જેનું એપ્રુવલ આપવામાં આવ્યું છે તે જ પ્રકારના વાહનોનું વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેટલા પણ જુના વાહનો છે તે વાહન માલિકો ડીલર સિવાય અન્ય જગ્યાએ વ્હાઈટ એલઇડી બલ્બ ફિટ કરાવી રહ્યા છે જે નિયમ વિરુદ્ધ છે. આ તમામ વિરુદ્ધ દરરોજ ચેકિંગ કરવામાં આવશે. 'વ્હાઇટ બલ્બ ફિટ કરાવનાર સામે કાર્યવાહી કરાશે'નિયમ પ્રમાણે કેવા પ્રકારની લાઇટ વાહનમાં લગાવવાની મંજૂરી હોય છે તેને લઈને નીરવ બક્ષી જણાવે છે કે, CMVR અંતર્ગત જે એપ્રુવલ આપવામાં આવે છે, તેમાં વ્હાઈટ એલઈડીને જ માત્ર મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અન્ય જગ્યાએથી વ્હાઇટ એલઇડી બલ્બનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલી નથી. જેથી જો નિયમ વિરુદ્ધ વ્હાઇટ બલ્બ ફિટ કરેલા હશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વ્હાઈટ એલઇડીની જ મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ વ્હાઇટ બલ્બ લગાવેલા હોય છે તે નિયમ વિરુદ્ધ હોય છે. અમદાવાદ શહેર RTO ઇન્સ્ટેક્ટર, સાણંદ અને વટામણ ચેક પોસ્ટ એક ચારેય જગ્યા પર તપાસ કરવામાં આવશે. જે પણ વાહનો આંખને અસર કરે તેવા પ્રકારની લાઇટનો ઉપયોગ કરી રહ્યા હશે તો તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. RTOએ વર્ષ 2025માં કુલ 1090 કેસ કર્યાવર્ષમાં 2025માં જ RTO અમદાવાદે 10.90 લાખનો દંડ વસૂલ્યો હોવાની કહી નીરવ બક્ષી જણાવે છે કે, નિયમ વિરુદ્ધ વ્હાઇટ બલ્બ લગાડેલા હશે તેમને 1,000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ જો બીજી વખત પકડાશે તો પણ દંડ વસૂલવામાં આવશે. જો ડીલર આ રીતના નિયમ વિરુદ્ધના વ્હાઈટ બલ્બ લગાડતા પકડાશે તો તેમની ડીલરશીપ બંધ કરવાની અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. એક વર્ષમાં મળેલી ફરિયાદ અને ચેકીંગ દરમિયાન વર્ષ 2025માં કુલ 1090 કેસ RTO અમદાવાદ કચેરી દ્વારા કરવામાં આવેલા છે. જે દરમિયાન 10.90 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવેલો છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:52 pm

ગોધરામાં વસંત પંચમીએ ડબગર સમાજ દ્વારા શોભાયાત્રા:મોટી સંખ્યામાં લોકો જોડાયા, રાધાકૃષ્ણ મંદિરથી નીકળી હતી શોભાયાત્રા

ગોધરા શહેરમાં વસંત પંચમીના અવસરે ડબગર સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.શોભાયાત્રા પહેલા શહેરા ભાગોળ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ રાધાકૃષ્ણની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. શોભાયાત્રા શહેરા ભાગોળથી શરૂ થઈ તળાવ રોડ, હોળી ચકલા થઈ પરત શહેરા ભાગોળ રાધાકૃષ્ણ મંદિરે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન થયું હતું.ડબગર સમાજ પંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ જ્ઞાતિના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.ગુજરાતમાં ડબગર સમાજ પંચ દ્વારા 1975 થી શોભાયાત્રા કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી. ગોધરા શહેરમાં 1978 થી વસંત પંચમીના દિવસે ડબગર સમાજ દ્વારા અવિરતપણે શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં શહેરા, દાહોદ, લુણાવાડા, ઝાલોદ, લીંબડી સહિતના ગામો અને જિલ્લાઓમાંથી ડબગર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર શોભાયાત્રા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ડબગર સમાજના નવયુવાનો અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. જેમાં અગ્રણીઓ મણીલાલ છોટાલાલ ડબગર, અરવિંદ ડાહ્યાભાઈ ડબગર અને રમેશભાઈ શંભુભાઈ ડબગર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:46 pm

વઢવાણ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી:વસંત પંચમી પર્વ નિમિત્તે રંગોત્સવનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર વર્ષો જૂનું અને હજારો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વસંત પંચમી પર્વ પર સમૈયો ઉત્સવ અને રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે વર્ષો પહેલા વઢવાણમાં પધારીને વસંત પંચમીના દિવસે સર્વ લોકોના કલ્યાણ માટે સંદેશો ફેલાવતી શિક્ષાપત્રીની રચના કરી હતી. આ શિક્ષાપત્રીને હવે 200 વર્ષ પૂર્ણ થયા છે.આ ઐતિહાસિક અવસરે સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો રંગોત્સવમાં ઉમટી પડ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આ ઉત્સવમાં હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:44 pm

સુરતના ચોરેલા મોબાઈલ છેક સાઉથ આફ્રિકામાં વેચાતા:વિદેશમાં બેસી મોબાઈલ ચોરીનું રેકેટ ચલાવતા ઝકવાન સૈયદના ભાઈ સહિત બેની ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાંચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેની કડીઓ છેક સાઉથ આફ્રિકા સુધી જોડાયેલી છે. સુરતના માર્ગો પરથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન વિદેશમાં મોકલીને ત્યાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી અત્યંત વ્યવસ્થિત રીતે સ્થાનિક કક્ષાએથી મોબાઈલ મેળવીને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાનું મોટું નેટવર્ક ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચના ઓપરેશનમાં બે રીઢા ગુનેગારોની ધરપકડશહેરના ગાંધીબાગ પાછળ ડક્કા ઓવરા ફ્લડ ગેટ પાસેથી ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવીને સાહિદ અરાફત ઉર્ફે અલ્ફાજ અને જુલકરનેન ગફાર સૈયદ નામના બે શખસને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વીવો અને ઓપો કંપનીના કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિદ અરાફત અગાઉ પાંચ વખત મોબાઈલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ 'પાસા' હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે, જે તેની ગુનાહિત માનસિકતા સ્પષ્ટપણે દર્શાવે છે. સાઉથ આફ્રિકામાં બેઠો માસ્ટરમાઇન્ડ ઝકવાન સૈયદ સમગ્ર રેકેટ ચલાવતોઆ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ઝકવાન સૈયદ છે, જે છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો છે. તે વિદેશમાં બેસીને સુરતના સ્થાનિક મોબાઈલ ચોરો અને સ્નેચરો સાથે સતત સંપર્ક જાળવી રાખતો હતો. ઝકવાન સુરતમાંથી ચોરાયેલા ફોન ખરીદવા માટે પોતાના ભાઈ જુલકરનેનનો ઉપયોગ કરતો હતો. આ રીતે વિદેશમાં બેઠેલા ગુનેગારો સ્થાનિક સ્તરે ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ માસ્ટરમાઇન્ડના આદેશ મુજબ જ સુરતના વિવિધ વિસ્તારોમાંથી કિંમતી મોબાઈલ ફોનની તફડંચી કરીને તેને એકત્ર કરવામાં આવતા હતા. ચોરીના મોબાઈલ વિદેશ મોકલવાની મોડસ ઓપરેન્ડીઆ ટોળકીની ચોરીના ફોન વિદેશ મોકલવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને ચોંકાવનારી હતી. જ્યારે સુરતમાં પૂરતા પ્રમાણમાં મોબાઈલ ભેગા થઈ જાય, ત્યારે ઝકવાન સૈયદ સાઉથ આફ્રિકા જતા સામાન્ય મુસાફરો કે પરિચિતોનો સંપર્ક કરતો હતો. આ મુસાફરોને સામાન તરીકે મોબાઈલ ફોન આપી દેવામાં આવતા અને તેઓ સાઉથ આફ્રિકા પહોંચીને ઝકવાનને ડિલિવરી આપી દેતા હતા. આ રીતે કોઈપણ કુરિયર કે ટ્રાન્સપોર્ટ એજન્સી વગર જ ચોરીનો મુદ્દામાલ આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને વિદેશી બજાર સુધી પહોંચી જતો હતો. સુરતના 30થી વધુ મોબાઈલ સાઉથ આફ્રિકા પહોંચ્યાપોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અત્યાર સુધીમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા અંદાજે 30 જેટલા મોબાઈલ ફોન આ જ પદ્ધતિથી સાઉથ આફ્રિકા મોકલી ચૂક્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે, કારણ કે આરોપીઓ લાંબા સમયથી આ વ્યવસાયમાં સક્રિય હતા. સુરતમાં ફોન ચોરી કરીને તેને વિદેશમાં વેચવાથી તેમને પકડાઈ જવાનો ડર ઓછો રહેતો હતો અને વિદેશી ચલણમાં વળતર પણ સારું મળતું હતું, જે આ ગુના પાછળનું મુખ્ય આકર્ષણ હતું. રેલવે સ્ટેશન અને મોર્નિંગ વોકર્સને બનાવતા હતા નિશાનઆ ટોળકી મુખ્યત્વે રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારો અથવા સવારના સમયે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી હતી. આરોપીઓ બાઈક પર સવાર થઈને આવતા અને રસ્તા પર ચાલતા કે વાત કરતા નિર્દોષ નાગરિકોના હાથમાંથી ફોન આંચકીને પળવારમાં ગાયબ થઈ જતા હતા. ખાસ કરીને રાત્રિના સમયે એકલદોકલ જતી વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવતી હતી. આ રીતે આચરેલા લૂંટના મોબાઈલ તે જ દિવસે સુરક્ષિત ઠેકાણે પહોંચાડી દેવામાં આવતા હતા જેથી પોલીસ પકડી ના શકે. ક્રાઈમ બ્રાંચની સઘન તપાસમાં અનેક પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયાઆ આરોપીઓની ધરપકડ થતા સલાબતપુરા, ઉધના, ખટોદરા, વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને સાઉથ આફ્રિકામાં રહેતા મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે સુરત પોલીસ હવે ઇન્ટરપોલ કે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવા અંગે પણ વિચારણા કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:40 pm

મોરબી મનપાએ ખાણીપીણી ધંધાર્થીઓ સાથે બેઠક યોજી:ફૂડ સેફટી અને સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઇસ્ટ ઝોન ઓફિસે ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. કમિશ્નરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ફૂડ સેફટી અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં શહેરના કરિયાણા વેપારીઓ, મિષ્ટાન-ફરસાણના વેપારીઓ, રેસ્ટોરન્ટ અને હોટેલના સંચાલકો સહિતના નાના-મોટા ખાણીપીણીના ધંધાર્થીઓ સહભાગી થયા હતા. તેમને ખાદ્ય પદાર્થોની જાળવણી, સ્વચ્છતાના ધોરણો, વાસી ખોરાકનું વેચાણ અટકાવવા અને ફૂડ લાઈસન્સ સંબંધિત બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ફૂડ શાખાની આ બેઠકમાં કમિશ્નર સ્વપ્નીલ ખરે, આરોગ્ય શાખાના અધિકારી રાહુલભાઈ કોટડીયા, રાજ્ય સરકારના ફૂડ સેફટી ઓફિસર નીરવભાઈ ડી ચોધરી અને ફૂડ સેફટી ઇન્સ્પેકટર હિમાનીબેન ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:37 pm

અમીરગઢમાં દારૂ ભરેલું ટ્રક ઝડપાયું:ગોગા મહારાજ મંદિર નજીકથી ₹17.37 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક સરોત્રા ગામની સીમમાં ગોગા મહારાજના મંદિર પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ₹17,37,698/- ની કિંમતની 4752 બોટલ/ટીન દારૂ જપ્ત કર્યો છે. કુલ ₹24,37,698/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં ટ્રકનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂની હેરાફેરી રોકવા અને આવા ગુનાઓમાં વધુ કેસો નોંધવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડ અને અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, વેરા ગામના ત્રણ રસ્તા ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી આઈસર ટ્રક નંબર GJ-02-AT-2862 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રક ચાલકે ટ્રક ઊભી રાખી ન હતી અને સરોત્રા ગામ તરફ ભગાવી હતી. પોલીસે ખાનગી વાહન દ્વારા તેનો પીછો કર્યો હતો. ટ્રક ચાલકે સરોત્રા ગામની સીમમાં ગોગા મહારાજના મંદિર નજીક ખેતરમાં ટ્રક ઉતારી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં છુપાઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા ફ્રુટના ખાલી કેરેટોની આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની બોટલો/ટીન મળી આવ્યા હતા. કુલ 4752 નંગ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. ફરાર થયેલા ટ્રક ચાલક અને તપાસમાં સામેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65એઈ, 116બી, 98(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:29 pm

બિહારની ગુમ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:વેરાવળના સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી શક્ય બન્યું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના સંકલિત પ્રયાસોથી બિહારની એક ગુમ થયેલી 54 વર્ષીય મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન શક્ય બન્યું છે. છેલ્લા એક મહિનાથી પરિવારથી વિખૂટા પડેલા આ મહિલાને જનરક્ષક 112 અને સીટી પોલીસ દ્વારા 21 જાન્યુઆરીના રોજ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાના મોતીપુર પુરાણી બજાર વિસ્તારના આ મહિલા છઠ પૂજાના પ્રસંગે ઘરેથી નીકળ્યા બાદ મોબાઈલ ચોરી થવાને કારણે પરિવાર સાથેનો સંપર્ક ગુમાવી બેઠા હતા. સેન્ટરના કર્મચારીઓએ તેમને આશ્રય, ભોજન, કપડાં અને સુરક્ષા સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડી. મહિલાનું મનોસમાજિક કાઉન્સેલિંગ કરવામાં આવતાં તેમની વિગતો જાણી શકાઈ. આ માહિતીના આધારે વેરાવળના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા બિહારના મુઝફ્ફરપુર સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’નો સંપર્ક સાધવામાં આવ્યો. ટેલિફોનિક વાતચીત દરમિયાન મહિલાનો પુત્ર માતા સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણીને ભાવુક બન્યો હતો અને પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. પરિવારજનોએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી તેઓ માતાની શોધખોળ માટે આસામ અને બિહારના અનેક વિસ્તારોમાં તપાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની ઝડપી કાર્યવાહી અને સંકલિત પ્રયાસોથી માત્ર ત્રણ દિવસમાં મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન શક્ય બન્યું. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી તંત્રએ પરિવાર અને મહિલાની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું. તેમણે મહિલાના ખબર-અંતર પૂછ્યા અને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના કર્મચારીઓની કામગીરીને બિરદાવી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી એમ.જે. વારસુર તથા તેમની ટીમ દ્વારા મહિલાને સોમનાથ મહાદેવના દર્શન કરાવી પરિવારજનો સાથે સુરક્ષિત રીતે તેમના વતનમાં રવાના કરવામાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:17 pm

કોડીનાર જખલા વાડીમાં LCBની મોટી કાર્યવાહી:ઘોડી પાસાનો જુગાર રમતા 6 ઝડપાયા, ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સમાજવિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. પોલીસ દ્વારા કોડીનાર વિસ્તારમાં સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી. એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને પો.સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલીયાની રાહબરી હેઠળની ટીમને મળેલી બાતમીના આધારે કોડીનારના જખલા વાડી ટાઉન વિસ્તારમાં ઘોડી પાસાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ અચાનક રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક ઇસમ નાસી છૂટ્યો હતો. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગાર માટે ઉપયોગમાં લેવાતા ઘોડી પાસા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹40,300 રોકડા, ₹1,30,000ની કિંમતના ચાર મોબાઇલ ફોન અને બે ઘોડી પાસાનો સમાવેશ થાય છે. આમ, કુલ ₹1,70,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા ઇસમો કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તાજેતરની આ કાર્યવાહીથી જુગારખોરોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક નાગરિકોમાં પોલીસની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજને બગાડતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:15 pm

અમદાવાદમાં 68 તળાવો એકબીજા સાથે જોડાશે:પૂર્વ અને પશ્ચિમના તળાવોને ઇન્ટરલિન્કિંગ કરી વરસાદી પાણીની સમસ્યા ઓછી કરાશે, 36 તળાવોમાં કામગીરી પૂર્ણ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે ત્યારે કેટલાક તળાવમાં પાણી ઓવરફ્લો થતા હોવાના કારણે પણ પાણી બેક મારવાની સમસ્યા થતી હોય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોમાં પાણી ભરાયેલા રહે તેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 68 જેટલા તળાવોને રૂ. 260 કરોડથી વધુના ખર્ચે ઈન્ટર લિંકિંગ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત 36 તળાવો ઇન્ટરલિંગ થઈ ચૂક્યા છે. 22 તળાવની કામગીરી થઈ રહી છે જ્યારે હજી પણ 10 જેટલા તળાવો ઇન્ટરલિન્કિંગ કરવામાં આવશે. 22 તળાવોને ઇન્ટરલીંકીગ કરવાની કામગીરી ચાલી રહી છેવોટર સપ્લાય અને સુઅરેજ કમિટિના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોને ઇન્ટરલિન્કિંગ કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીને સ્ટ્રોમ વોટર મારફતે તળાવોમાં પહોંચાડી તેમજ એક તળાવમાંથી વધારાનું પાણી અન્ય તળાવમાં પહોંચાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા 22 જેટલા તળાવોને ઇન્ટરલીંકીગ કરવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. દ્વારા ઇન્ટરલીંકીંગ કરવામાં આવી રહેલા તળાવમાં મહત્વના તળાવમાં પુનિયા, કણજિયું, બેદાર, શકરી, આઝાદનગર, રતનપુર, વડુ, સાત તલાવડી રોમાલ, ખોડિયાર તળાવ, મહાલક્ષ્મી તળાવ, રોપડા તળાવ, વાનરવટ તળાવ, લાંભા તળાવ, અસ્લાલી તળાવ સહિતનાનો સમાવેશ થાય છે. 15 તળાવને ઇન્ટલીકીંગ કરીને ગોતા ગોધાવી કેનાલ સાથે જોડાશેશહેરના ખોરજ, ત્રાગડ, છારોડી, જગતપુર, વેસ્ટર્ન પ્રાઇમ, ગોતા, કાળી, ચેનપુર, રાણીપ, ચાંદલોડીયા, યદુડી, દેવસીટી, આરસી ટેકનીકલ, ભાડજ, ઉમા ગ્રીનલેન્ડ, ઉગતી, ગુલમહોર ગ્રીન, વેસ્ટર્ન પ્રાઇમથી ઓગણજથી કોપરણથી કાગમેરથી સોલા તળાવને જેવા 15 તળાવને ઇન્ટલીકીંગ કરી તેને ગોતા ગોધાવી કેનાલ સાથે જોડવામાં આવ્યા છે. જેથી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઓછી થશે. 13 તળાવનું જોડાણ સાબરમતી નદી સાથે કરાયુંસોલા, એબીડી, થલતેજ, મહિલા, આંબલી, મુમદપુરા, મકરબા, સરખેજ, વિવેકાનંદ, આરએમએસ, વસ્ત્રાપુર, પાંચા, રોપડા સહિત 13 તળાવનું જોડાણ સાબરમતી નદી સાથે કરાયું છે. તેથી તળાવના કુદરતી સૌંદર્યમાં પણ વધારો થશે. શાલિગ્રામ-2, શાલિગ્રામ-1, સુરભી, નિકોલ તળાવને ખારીકટ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે. 10 તળાવોને ઇન્ટરલીંકીગ કરવામાં પણ રૂ. 47.6 કરોડનો ખર્ચતમામ ઇન્ટરલિન્કિંગ થવાના કારણે પાણી ભરાવવાની સમસ્યા ઓછી થશે. આ તળાવો ઇન્ટરલીંકીગ કરવાની કામગીરીમાં કેટલાકમાં 40 ટકા જેટલી કામગીરી પુર્ણ થઇ છે. જ્યારે બાકી રહેલા 10 તળાવોને ઇન્ટરલીંકીગ કરવામાં પણ તંત્રને રૂ. 47.6 કરોડનો ખર્ચ થશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:13 pm

પ્રયાગરાજમાં જગતગુરુ સાથે દુર્વ્યવહાર મામલે ગોધરામાં આવેદન:સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી, કાર્યવાહીની માંગ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહામાસ દરમિયાન યોજાયેલા કુંભમેળામાં જગતગુરુ શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ સાથે કથિત દુર્વ્યવહારના વિરોધમાં ગોધરામાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સમસ્ત હિન્દુ સનાતન ધર્મ રક્ષણ સમિતિ, ગોધરા દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આ રજૂઆત કરાઈ હતી. સમિતિના જણાવ્યા અનુસાર, કુંભમેળા દરમિયાન પ્રોટોકોલ મુજબ વિવિધ ધર્માચાર્યોને સ્થાન ફાળવવામાં આવે છે. મૌની અમાવાસ્યાના દિવસે મહારાજ પોતાના શિષ્યો અને ભક્તો સાથે ગંગાસ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક અધિકારીઓ દ્વારા તેમની સાથે અપમાનજનક વર્તન કરાયું હોવાનો આક્ષેપ છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે મહારાજ સાથે જઈ રહેલા 9થી 16 વર્ષના બાળ બ્રહ્મચારીઓ, બટુકો, દંડી સંન્યાસીઓ, શિષ્યો અને ભક્તો સાથે પણ અમાનુષી વર્તન કરવામાં આવ્યું. કેટલાકની શીખા ખેંચવામાં આવી, કેટલાકને હાથ પકડી ઘસેડવામાં આવ્યા અને લાકડી તથા લાતોથી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. ઉપરાંત, શિષ્યો-ભક્તોના દંડ પણ છીનવાઈ ગયા હોવાનો ઉલ્લેખ છે. સમિતિના દાવા મુજબ, આ ઘટના પછી મહારાજને પ્રશાસન દ્વારા ફાળવેલ શિબિર પાસે મૂકવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ કડકડતી ઠંડીમાં શિબિર બહાર ધારણા પર બેઠા છે. અનેક શિષ્યો અને ભક્તો પણ અહિંસક રીતે આ ધારણામાં જોડાયા હોવાનું જણાવાયું છે. સમિતિએ આ ઘટનાને સનાતન ધર્મનું અપમાન ગણાવી કડક વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે મહારાજને શંકરાચાર્ય તરીકે માન-આદર સાથે સ્નાન કરાવી પ્રશાસન દ્વારા માફી માંગવામાં આવે અને જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:11 pm

પ્રતિબંધિત 12 સ્ટાર કાચબા સાથે યુવાન ઝડપાયો:દેવભૂમિ દ્વારકા SOG પોલીસે ભાણવડમાંથી કાર્યવાહી કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG પોલીસે ભાણવડમાંથી એક યુવાનને પ્રતિબંધિત 12 સ્ટાર ટર્ટલ (સૂર્ય કાચબા) સાથે ઝડપી પાડ્યો છે. આ યુવાન ગેરકાયદેસર રીતે કાચબા રાખીને તેનું વેચાણ કરતો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ SOG પી.આઈ. કે.કે. ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુણ અને નિતેશભાઈ સાદિયાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે, ભાણવડમાં રહેતા અર્જુન વિજયભાઈ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ-1 માં આવતા 12 સ્ટાર ટર્ટલ (સૂર્ય કાચબા) મળી આવ્યા હતા. યુવાન પાસે આ કાચબા રાખવા માટે કોઈ આધાર-પુરાવા કે પરવાનગી નહોતી. SOG ટીમે અર્જુન વિજયભાઈની અટકાયત કરી, વધુ કાર્યવાહી માટે તેનો કબજો ભાણવડ ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. ડી.એ. વાળા, અરજણભાઈ ચંદ્રવાડીયા, હરદેવસિંહ જાડેજા, ચિરાગસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, નીતેશભાઈ સાદીયા, કૃષ્ણરાજસિંહ જાડેજા અને લખમણભાઈ આંબલીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 8:04 pm

Editor's View: બાળકો, મોબાઇલ અને માનસિક કેન્સર:મગજનું ડોપામાઇન હેક કરી લે એવું ખતરનાક કોકેઇન, ચાર શૉકિંગ કિસ્સા, હવે બ્રિટન પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારીમાં

માતાએ 14 વર્ષનાં દીકરાને ગેમ રમવા ન દીધી તો આપઘાત કર્યો મોબાઇલની ના પાડતાં 17 વર્ષના દીકરાએ પિતાનો જીવ લીધો ઓનલાઇન ગેમમાં 13 લાખ હારી જતાં કિશોરની આત્મહત્યા પિતાએ ગેમ રમવાની ના પાડતા 12 વર્ષનાં બાળકનો આપઘાત અને આવા તો કેટલાય બનાવો છે જે રોજબરોજ આપણી આસપાસ બને છે. વિચાર કરો તમે તમારા 12 વર્ષના દીકરા કે દીકરીના હાથમાં દારૂની બોટલ પકડાવો અને કહો કે, બેટા, દારૂ પીજે પણ થોડી જવાબદારીથી! તો શું તમે તેને સારા માતા-પિતા કહેવાશો? તમારો જવાબ હશે - ના, બિલકુલ નહીં. પણ આ જ વાતને તમે બાળકોના હાથમાં મોબાઈલ અને અનલિમિટેડ ડેટા આપો છો તેની સાથે જોડીએ તો? તમને લાગે કે તેમાં શું વાંધો મોબાઈલ જ છે ને? પણ ના આ વિશ્વનું સૌથી પાવરફુલ કોકેઈન છે જે તમારા બાળકને લત લગાડી દે છે. સિલિકોન વેલીના એન્જિનિયરોએ જાણી જોઈને સોશિયલ મીડિયાની ડિઝાઈન એવી બનાવી છે કે બાળકના મગજનું ડોપામાઈન હેક થઈ જાય. અને આ વાત ઓસ્ટ્રેલિયાએ બરોબર સમજી અને ગયા વર્ષે લગભગ ઈતિહાસમાં પહેલીવાર બાળકો માટે સંપૂર્ણ સોશિયલ મીડિયા બેન કરવાનો નિર્ણય લીધો. સિડનીથી સિલિકોન વેલી સુધી આ નિર્ણયનું કેવું રિએક્શન આવ્યું અને શું આપણે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવું જોઈએ? આજે આપણે તેની વાત કરીએ નમસ્કાર... આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં યુદ્ધો હવે સરહદો પર ઓછા અને મોબાઈલની સ્ક્રીન પર વધારે લડાય છે. આપણે પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે શું આપણે ટેકનોલોજી વાપરીએ છીએ કે ટેકનોલોજી આપણને વાપરી રહી છે? ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય ભારત જેવા દેશ માટે, જ્યાં ડેટા સૌથી સસ્તો છે અને વસ્તી સૌથી યુવાન છે તેના માટે એક વેક-અપ કોલ છે. જો આપણે નહીં જાગીએ તો આપણું બાળક ડિજિટલ ઝોમ્બી બની જશે. માટે પૂરા સમાચારને સમજીએ... ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ થયું કંઈક એવું છે કે ઓસ્ટ્રેલિયાની સંસદે નવેમ્બરમાં એક કાયદો પસાર કરાવ્યો જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવું બંધ થઈ ગયું છે. હવે ઓસ્ટ્રેલિયાના બાળકો ટીકટોક, ઈન્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, રેડડીટ અને એક્સ જેવા પ્લેટફોર્મ નહીં વાપરી શકે. મોટી વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયામાં બાળક સોશિયલ મીડિયા વાપરતું પકડાશે તો તેના મા બાપને નહીં પણ જે તે સોશિયલ મીડિયા કંપનીને અંદાજે 270 કરોડ રૂપિયાનો દંડ થશે. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયાની લત કેટલી ગંભીર છે તે જાણીએ ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે સોશિયલ મીડિયા કંપનીઓને એજ વેરિફિકેશન ખરાઈ માટેની ટેક્નોલોજી વિકસાવવા પણ સમય આપ્યો હતો. જેથી સોશિયલ મીડિયા બેન કાયદો ઓસ્ટ્રેલિયાના બાળકો પર સારી રીતે લાગુ કરી શકાય. જો કે ભણતરને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં યુટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ ચાલુ જ રહેશે. હવે જાણીએ કે ઓસ્ટ્રેલિયન બાળકો સૌથી વધુ કઈ એપ વાપરે છે. અગાઉ અમેરિકામાં સફળતા ના મળી વર્ષ 1998માં અમેરિકામાં COPPA એટલે કે ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ નામનો એક કાયદો આવ્યો હતો. તેમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવા પર કન્ટ્રોલ લગાવ્યો. જો જો હોં! પ્રતિબંધ નહીં! નિયંત્રણ લગાવ્યું હતું. પણ થયું શું? આપણે બધા જ જાણીએ છીએ કે બાળકોએ સમય જતાં ખોટી જન્મ તારીખ અને એકાઉન્ટ બનાવી દીધા. ત્યારે I am 13+ એક મોટું જૂઠ બન્યું જે 26 વર્ષ ચાલ્યું પણ ઓસ્ટ્રેલિયાએ કહી દીધું હવે બસ... FBથી શરૂઆત અને એડિક્શન સુધી આખી વાતને મૂળથી સમજવા માટે ફેસબુકનો શરૂઆતનો જમાનો યાદ કરવો જ પડે. હાર્વર્ડમાં 2004માં વાવેલું સોશિયલ મીડિયા નામનું બીજ હાલ વટવૃક્ષ બની ગયું છે. ત્યારે ફેસબુકનો મોટિવ ખાલી કનેક્શન હતો, જૂના મિત્રોને શોધવાનો. પણ 2010 પછી જ્યારે લાઈક બટન અને 2012-13 પછી ઈન્ફાઈનાઈટ સ્ક્રોલ સુવિધા આવી; ત્યારે આખો ખેલ બદલાઈ ગયો. એમાંય ચાઈનાનું ટિકટોક આવ્યું પછી સોશિયલ મીડિયા સોશિયલ મટીને ખાલી એડિક્શન બની ગયું. બાળકો માટે સોશિયલ મીડિયા માનસિક કેન્સર આજની આ ઘટના 20મી સદીના મધ્યમાં જ્યારે દુનિયાને સમજાયું હતું કે સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેના જેવી છે. દાયકાઓ સુધી તમાકુ કંપનીઓએ લોકોને એવું કહીને ઉલ્લું બનાવ્યાં કે સિગારેટથી નુકસાન નથી થતું, આજે સોશિયલ મીડિયા કંપનીઓ પણ એવું જ કહી અને કરી રહી છે. પણ ઓસ્ટ્રેલિયાએ દુનિયાથી થોડું વહેલું સમજી લીધું છે કે બાળકો માટે સોશિયલ મીડિયા માનસિક કેન્સર છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ભાવુક વાત આ નિર્ણય પછી ઓસ્ટ્રેલિયામાં ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ તંગ બની હતી. એક બાજુ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહી દીધું હતું કે સોશિયલ મીડિયા અમારાં બાળકોનું બાળપણ છીનવી રહ્યું છે અને એક નેતા તરીકે હું તે જોઈ શકતો નથી. ટેક જાયન્ટ્સનો હાસ્યાસ્પદ તર્ક બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના બાળકો, ટેક જાયન્ટ્સ અને ઈલોન મસ્ક જેવા દિગ્ગજો આને ફાંસીવાદી નિર્ણય ગણાવ્યો હતો. ગૂગલ અને મેટાએ દલીલ કરી કે આનાથી બાળકો ડાર્ક વેબ તરફ વળશે અથવા છુપાઈને સોશિયલ મીડિયા વાપરશે, જે વધુ જોખમી હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં હવે વાલીઓ ખુશ પણ સામેની બાજુ ત્યાના સ્થાનિક સર્વે મુજબ ઓસ્ટ્રેલિયાના 77 ટકા વાલીઓ ખુશ છે. જે લાચારી તેઓ ડાઈનિંગ ટેબલ પર અનુભવતા હતા કે ટીનેજર પાસેથી ફોન પાછો કેવી રીતે લેવો તે લાચારીનો જવાબ હવે કાયદાએ આપ્યો છે. પ્રખ્યાત અમેરિકન સાયકોલોજિસ્ટ જોનાથન હાઈટે The Anxious Generation નામનું એક પુસ્તક લખ્યું છે. જે કહે છે કે, 2012 પછી કે જ્યારે સ્માર્ટફોન અને ફ્રન્ટ કેમેરા કોમન થયા ત્યાર પછી દુનિયાભરમાં કિશોરોમાં ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી અને આત્મહત્યાના વિચારોમાં સો ગણાથી વધુનો ઉછાળો આવ્યો છે. છોકરીઓમાં બોડી ઈમેજના ઈશ્યુ આવ્યા કે હું સુંદર નથી દેખાતી અને છોકરાઓમાં ગેમિંગ કે વાયોલન્સનું એડિક્શન વધ્યું. 2010 પહેલાં અમેરિકામાં કિશોરીઓમાં હોસ્પિટલાઈઝેશન રેટ સ્થિર હતો. 2012 પછી તે 150% વધ્યો છે. સુસાઈડ રેટ 10-14 વર્ષની છોકરીઓમાં ટ્રિપલ થયો. જે બધુ જ સોશિયલ મીડિયાની દેન છે. ઓસ્ટ્રેલિયાનો આ કાયદો બાળપણને રી-સેટ કરવાનો પ્રયાસ જ છે. આપણને થાય કે મફતની એપ વાપરવામાં કંપનીને શું મળે? તો યાદ રાખજો, If you are not paying for the product, then you are the product. તમે સોશિયલ મીડિયા કંપનીઓ માટે રો મટિરિયલ છો. જેમાં તે આપણા બાળકોના ધ્યાનને ભટકાવે છે, અને એટેન્શન ફાર્મિંગ કરે છે. જો 16 વર્ષ સુધીનું બાળક સોશિયલ મીડિયા ન વાપરે, તો કંપનીઓનો ફ્યુચર કન્ઝ્યુમર બેઝ તૂટી જાય. નાનપણથી બ્રાન્ડનું જે એડિક્શન કરાવવું હોય તે ન થઈ શકે. અને આ કાયદો ટેક કંપનીઓની બેલેન્સ શીટ પર સીધી અસર કરે છે, એટલે જ તેઓ ઓસ્ટ્રેલિયાના નિર્ણય પછી તરફડિયાં મારી રહ્યા છે. આ ખાલી બાળકોના મગજની વાત નથી, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. ટિકટોક જેવી એપ્સ ચીન સાથે જોડાયેલી છે. એક આખી પેઢી શું વિચારે, શું જુએ અને કોને નફરત કરે, આ કંટ્રોલ વિદેશી તાકાતોના હાથમાં હોવો એ કોઈ દેશ માટે ખતરનાક છે. બાળકોનો ડેટા ચોરાઈ રહ્યો છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં તેમની વિરુદ્ધ જ થઈ શકે છે. ભારતમાં તો સોશિયલ મીડિયાની લત ઓસ્ટ્રેલિયા કરતા પણ ગંભીર છે. ભારતમાં એડલ્ટ વ્યક્તિ સરેરાશ રોજની 5 થી 6 કલાક મોબાઈલ સ્ક્રીન પર વિતાવે છે. વિચારો, એક વ્યક્તિ જો દિવસના 6 કલાક ફોનમાં કાઢે, તો વર્ષના 2190 કલાક થાય. આટલા સમયમાં તે બે નવી ભાષા શીખી શકે, સ્પોર્ટ્સમાં સ્ટેટ લેવલે રમી શકે અથવા કોડિંગ પણ શીખી શકે. આ 2190 કલાકો રાષ્ટ્રીય નુકસાન છે, તે કોઈ દેશની GDPમાં ક્યારેય ગણાતું નથી. અહીં એક વાત સમજવા જેવી છે... તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટીવ જોબ્સ પોતાના બાળકોને આઈપેડ વાપરવા કેમ નહોતા આપતા? વર્ષ 2010માં પત્રકાર નિક બિલ્ટને સ્ટીવનો ઈન્ટરવ્યૂ લીધો જેમાં તેમણે કહ્યું, અમે ઘરે ટેકનોલોજી વાપરવાની લિમિટ મૂકી છે. બિલ ગેટ્સ અને સુંદર પિચાઈ જેવા દિગ્ગજોના ઘરમાં તો સ્ક્રીન ટાઈમ પર સ્ટ્રિક્ટ નિયમો છે. સિલિકોન વેલીના ટોચના એન્જિનિયરો પોતાના બાળકોને વોલ્ડોર્ફ સ્કૂલમાં મોકલે છે, જ્યાં અમુક વર્ષો સુધી કોમ્પ્યુટર કે સ્ક્રીન પર પ્રતિબંધ હોય છે. કહેવાનો મતલબ એમ છે કે જે લોકો આ ટેકનોલોજી બનાવે છે, તેઓ જાણે છે કે આ ડિજિટલ ડ્રગ છે. ડ્રગ ડીલરનો નિયમ હોય છે, Don't get high on your own supply. તેઓ પોતાના બાળકોને બચાવે છે અને આપણા બાળકોને પ્રોડક્ટ બનાવે છે. ઓસ્ટ્રેલિયાએ આ હિપોક્રેસીને બરોબર સમજી અને વળતો પ્રહાર કર્યો છે. હવે બ્રિટન પણ ઓસ્ટ્રેલિયાના રસ્તે યુકેની સરકાર પણ ઓસ્ટ્રેલિયાના નિર્ણય બાદ જાગી છે. જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં જ સંકેત આપ્યા છે કે તેઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે કાયદો લાવી શકે છે. નોર્વે અને ફ્રાન્સે પણ આ મામલે ગંભીરતાથી પગલા લેવા પર કામગીરી શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના આ નિયમોની લાંબા ગાળે તેમના દેશ અને વિશ્વ પર સારી અસરો થઈ શકે છે. બીજા દેશો પણ આવા કાયદા લાવશે. ઇન્ટરનેટનું ફ્રી મોડેલ બદલાઈ શકે છે. કદાચ ભવિષ્યમાં ઇન્ટરનેટ વાપરવા માટે ડિજિટલ લાઈસન્સ પણ આવી શકે. શું ખબર ભવિષ્યમાં સોશિયલ મીડિયાને પણ તમાકુની જેમ કન્ટ્રોલ્ડ પ્રોડક્ટ ગણવામાં આવે. અને છેલ્લે... એક કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી. આપણે ટેકનોલોજીને નોકર તરીકે ઘરમાં લાવ્યા હતા, પણ તે માલિક બનીને ડાઈનિંગ ટેબલ પર બેસી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ તો કાયદો બનાવ્યો, અને કદાચ કાલે ભારત પણ વધુ સ્ટ્રિક્ટ કાયદો બનાવશે. પણ શું કાયદો જ એકમાત્ર ઉકેલ છે? જ્યાં સુધી માતા-પિતા પોતે મોબાઈલ બાજુ પર મૂકીને બાળક સાથે આંખમાં આંખ મિલાવીને વાત નહીં કરે, ત્યાં સુધી કોઈ પણ સંસદ કે કોઈ પણ કાયદો તમારા બાળકને નહીં બચાવી શકે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:55 pm

69 આંગણવાડી કાર્યકર બહેનોની જોબ તાલીમ પૂર્ણ:સાદરામાં ICDS અધિકારી દ્વારા પ્રમાણપત્રો એનાયત કરાયા

સાબરકાંઠા જિલ્લાની 69 આંગણવાડી કાર્યકર બહેનો માટે સાદરાના સરદાર પટેલ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી જોબ તાલીમનો સમાપન કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયો હતો. આ તાલીમમાં કુલ 69 બહેનોએ સક્રિયપણે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ICDS શાખાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ધ્યુતીબેન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમ પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને માર્ગદર્શન આપ્યું હતું અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલ તાલીમ કેન્દ્રના આચાર્ય તેજસભાઈ ઠાકર, ભરતભાઈ પટેલ અને શૈલેષભાઈ વાઘેલા પણ હાજર રહ્યા હતા. મુખ્યસેવિકા બહેનો, અધ્યાપક ગણ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:52 pm

મહેસાણા મહાનગરપાલિકાનું માળખું જાહેર:13 વોર્ડમાં 52 બેઠકો અને અનામત બેઠકોનું ગણિત સ્પષ્ટ

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે તેની વહીવટી પ્રક્રિયાએ ગતિ પકડી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાની નવી વોર્ડ રચના અને બેઠકોનું સીમાંકન જાહેર કરી દેવામાં આવ્યું છે. નવી જાહેરાત મુજબ, હવે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને કુલ 13 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં કુલ 52 કોર્પોરેટરોની બેઠકો રહેશે. 52માંથી કુલ 37 બેઠકો વિવિધ વર્ગો માટે અનામતકુલ 52 બેઠકોમાંથી 50 ટકા એટલે કે 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જ્ઞાતિગત અનામતની વાત કરીએ તો, અનુસૂચિત જાતિ SC માટે 5 બેઠકો અને અનુસૂચિત આદિજાતિ ST માટે 1 બેઠક અનામત ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, પછાત વર્ગ OBC માટે કુલ 14 બેઠકો અનામત રહેશે, જેમાંથી 7 બેઠકો પર મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. આમ, 52માંથી કુલ 37 બેઠકો વિવિધ વર્ગો માટે અનામત જાહેર કરવામાં આવી છે, જ્યારે બાકીની 15 બેઠકો સામાન્ય વર્ગ માટે રહેશે. વસ્તીના આધારે વોર્ડનું વિભાજનમહેસાણા મહાનગરપાલિકાની આ વોર્ડ રચના વર્ષ 2011ની વસ્તી ગણતરીને આધાર માનીને તૈયાર કરવામાં આવી છે. મહાનગરપાલિકાના વિસ્તારની કુલ 2,31,917 વસ્તીને ધ્યાને રાખીને વોર્ડનું માળખું ઘડાયું છે. વહીવટી સરળતા રહે તે માટે દરેક વોર્ડમાં સરેરાશ 17,840 ની વસ્તીનો માપદંડ રાખવામાં આવ્યો છે. નવા સીમાંકન મુજબ ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરાશેઆ નવી વોર્ડ રચના જાહેર થતાં જ હવે મહેસાણાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી સમયમાં આ નવા સીમાંકન મુજબ ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે, જેને પગલે હવે વિવિધ રાજકીય પક્ષોએ પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરશે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:41 pm

વેરાવળમાં 9,400 મતદારોના નામ રદ કરવા ફોર્મ ભરાયાના આક્ષેપ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર સામે મોરચો માંડ્યો

વેરાવળ શહેરમાં મતદાર યાદીમાંથી આશરે 9,400 મતદારોના નામો રદ કરવા માટે ફોર્મ નંબર-7 ભરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર સામે ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે. તેમણે લોકશાહીના મૂળ આધાર ગણાતી મતદાર યાદી સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય ચુડાસમાએ વેરાવળના પ્રાંત અધિકારીને પત્ર લખી આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પત્રની નકલ તેમણે જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીને પણ મોકલી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે. પત્રમાં ધારાસભ્યએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાંથી નામો કાઢવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ નંબર-7નો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે શંકા વ્યક્ત કરી છે કે કોઈ ચોક્કસ જ્ઞાતિ અથવા રાજકીય પક્ષના સમર્થકોને આયોજનબદ્ધ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ધારાસભ્યના મતે, જો આ પ્રકારના ફોર્મ મોટા પ્રમાણમાં એકસાથે ભરવામાં આવ્યા હોય, તો તેની પાછળ સંગઠિત ષડયંત્ર હોવાની સંભાવના નકારી શકાય નહીં. તેમણે જણાવ્યું કે નાગરિકોને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ બંધારણીય હકોનું ઉલ્લંઘન છે. વિમલ ચુડાસમાએ પત્રમાં કાયદાકીય જોગવાઈઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને, ખોટી માહિતીના આધારે મતદારનું નામ રદ કરાવવાનો પ્રયાસ કરે તો તેને કાયદા મુજબ એક વર્ષ સુધીની સજા થઈ શકે છે. ધારાસભ્યએ તંત્રને આ સમગ્ર પ્રક્રિયાની તટસ્થ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે કોના દ્વારા, કયા આધાર પર અને કેટલી સંખ્યામાં ફોર્મ નંબર-7 ભરાયા તેની વિગતવાર તપાસ કરીને જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં જન આક્રોશ સાથે આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદારના અધિકારો સાથે ચેડાં કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:39 pm

હિંમતનગરના ગોકુલેશ્વર મંદિરે 11 કુંડી મહારુદ્ર યાગ સંપન્ન:મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ ઉજવાયો

હિંમતનગરના ગોકુલનગર સ્થિત ગોકુલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય ૧૧ કુંડી મહારુદ્ર યાગની પૂર્ણાહુતિ થઈ છે. મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવના ભાગરૂપે આ યાગનું આયોજન કરાયું હતું. પૂર્ણાહુતિના દિવસે સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન, બપોરે 2:30 કલાકે ઉત્તર પૂજનનો પ્રારંભ થયો હતો. સાંજે 4 કલાકે યજ્ઞની હોમ સાથે મહારુદ્ર યાગ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્ય યજમાન સહિત 21 યજમાનો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરવામાં આવી હતી. સાંજે મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં વિવિધ હોમ બાદ શ્રીફળ સાથે યાગ પૂર્ણ કરાયો. યાગની પૂર્ણાહુતિ બાદ યજમાનોએ પરિવાર સાથે સમૂહ આરતી કરી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ શરૂ થયું હતું. આ સમગ્ર આયોજનથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:38 pm

વડતાલમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ:હાથીની અંબાડી પર નીકળી ભવ્ય સંદેશ યાત્રા

ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાથીની અંબાડી પર શિક્ષાપત્રીને પધરાવીને એક ભવ્ય 'શિક્ષાપત્રી સંદેશ યાત્રા' કાઢવામાં આવી હતી. આ મહોત્સવ અંતર્ગત, સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના આચાર્ય પ.પૂ. ધ.ધુ. 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના નિવાસસ્થાને સવારે શિક્ષાપત્રીની મહાપૂજા સંપન્ન થઈ હતી. બપોર પછી વડતાલ ગામમાં આયોજિત 'શિક્ષાપત્રી સંદેશ યાત્રા'માં હાથીની અંબાડી પર શિક્ષાપત્રીને બિરાજમાન કરાઈ હતી. શિક્ષાપત્રીના ઉપદેશો જનમાનસ સુધી પહોંચાડવાના હેતુથી 20 થીમ આધારિત ટેબલો તૈયાર કરાયા હતા, જેમાં બાળકોએ અભિનય દ્વારા જીવંત રજૂઆત કરી હતી. મયૂરરથમાં ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ પણ બિરાજમાન રહ્યા હતા. ડીજે ધૂન, કીર્તન અને જયઘોષથી સમગ્ર વડતાલ ગામ ભક્તિમય બની ગયું હતું. આ શોભાયાત્રા વડતાલ રઘુવીરવાડી ખાતે સત્સંગસભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં સંતો દ્વારા શિક્ષાપત્રી આધારિત પ્રેરણાદાયક પ્રવચનો કરવામાં આવ્યા હતા.આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષાપત્રી મુજબ જીવન જીવનાર વ્યક્તિ ક્યારેય દુઃખી થયો નથી અને થશે પણ નહીં. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલ અમૂલ્ય કોલ છે, જે સનાતન ધર્મની મર્યાદામાં જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે.” ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે કહ્યું હતું કે, “ભગવાનની આજ્ઞાઓ ક્યારેય જૂની થતી નથી. શિક્ષાપત્રીમાં દર્શાવેલી સ્વચ્છતા, સંયમ અને સુરક્ષાની આજ્ઞાઓ આજના યુગમાં પણ એટલી જ પ્રાસંગિક છે.” આ ઐતિહાસિક પ્રસંગે વિવિધ ગામોમાંથી પધારેલા 10,000થી વધુ હરિભક્તોએ એકસાથે શિક્ષાપત્રીની સમૂહ આરતી કરી હતી. આ મહોત્સવે ભાવિકોમાં નિયમ, ધર્મ અને સદાચાર પ્રત્યે નવી ચેતના અને દ્રઢતાનો સંચાર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:38 pm

એશિયામાં નવો પાવર ગેમ: પાકિસ્તાનના ‘ઇસ્લામિક નાટો’ સામે ભારત-યુએઈ-ઇઝરાયલની મજબૂત ‘ત્રિપુટી’

India-UAE-Israel Alliance : પશ્ચિમ એશિયાના સુરક્ષા-સમીકરણો સ્પષ્ટ રીતે બદલાઈ રહ્યાં છે. ભવ્ય સંધિઓ, મોટા ઢોલ-નગારા કે ઔપચારિક સૈન્ય ગઠબંધનો વિના અહીં નવા વ્યૂહાત્મક જોડાણો આકાર લઈ રહ્યા છે. આ બદલાવના કેન્દ્રમાં એક મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ ત્રિકોણ ઉભરી રહ્યો છે, જે છે ભારત, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઇઝરાયલ દ્વારા રચાયેલું ત્રિપક્ષીય સંગઠન. સંરક્ષણ, ટેક્નોલોજી, ગુપ્તચર સહકાર અને રાજકીય સમન્વયના સ્તરે આ ત્રણેય દેશો વચ્ચે વધતો સહયોગ હવે માત્ર કૂટનીતિક મિત્રતા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ એક વ્યાવહારિક વ્યૂહાત્મક બ્લોકનું સ્વરૂપ લઈ રહ્યો છે. આ ઉભરતા સહયોગને પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કિયે જેવા દેશો દ્વારા રચાયેલા ‘ઇસ્લામિક નાટો’ના જવાબ (counterweight) તરીકે જોવાઈ રહ્યો છે.

ગુજરાત સમાચાર 23 Jan 2026 7:37 pm

1500થી વધુ કોન્ટ્રાક્ટ કર્મીઓને એક સાથે 1 ફેબ્રુઆરીએ છૂટા કરાશે:ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટમાં 10 વર્ષથી સેવા આપતા કર્મીઓને વ્હોટ્સએપથી જાણ કરાઈ

રાજ્યના ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપતા કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 1500થી વધુ કર્મચારીઓને એક સાથે છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કર્મચારીઓમાંથી મોટા ભાગના છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટ પર સતત સેવા આપી રહ્યા હતા. જેમાં VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટ્રપ્રિન્યોર), ડિસ્ટ્રિક્ટ લેવલ એક્ઝિક્યુટિવ તેમજ તાલુકા લેવલ એક્ઝિક્યુટિવનો સમાવેશ થાય છે. અચાનક નિર્ણયથી કર્મીઓમાં અસંતોષઆ કર્મચારીઓ મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં 15મા નાણાં પંચની કામગીરી, સરકારી યોજનાઓની ડિજિટલ એન્ટ્રી તથા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા સરકારના વિવિધ લાભો ગ્રામજનો સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવતું હતું. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય અચાનક લેવાયો હોવાને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોટ્સએપ મેસેજ મારફતે છૂટા કરવાની જાણ કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી વધુ વધી છે. 27મીએ કર્મયોગી ભવનમાં રજૂઆત કરશેઆ મામલે હવે કર્મચારીઓ સંગઠિત થઈને મંગળવાર, 27 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવનમાં પોતાની રજૂઆત કરવા જવાના છે. કર્મચારીઓની માંગ છે કે વર્ષોથી આપેલી સેવાઓને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય નિર્ણય લે અને તેમના રોજગારનું સંરક્ષણ કરે. આ સમગ્ર મુદ્દે સરકાર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ અધિકૃત પ્રતિભાવ આવ્યો નથી, પરંતુ આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:34 pm

ગુરુકુલ ભાવનગર સ્પેશ્યલ વિભાગે વસંત પંચમી ઉજવી:સરસ્વતી પૂજન અને શિક્ષાપત્રી જયંતિની ભવ્ય ઉજવણી

ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગરના સ્પેશ્યલ વિભાગ દ્વારા વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાની દેવી મા સરસ્વતીના પ્રાગટ્ય પર્વ અને શિક્ષાપત્રીના ૨૦૦મા જયંતિ વર્ષના ઉપલક્ષમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની આરાધનાથી કરવામાં આવી હતી, જેમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉજવણીની મુખ્ય વિશેષતા શિક્ષાપત્રી પૂજન હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક પઠન સાથે ભગવાન સ્વામિનારાાયણ દ્વારા લિખિત અમૂલ્ય ગ્રંથ શિક્ષાપત્રીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. બે વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીનું મહત્વ પણ સમજાવ્યું હતું. સાંસ્કૃતિક કૃતિઓમાં મા સરસ્વતીની વંદના અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેણે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે વસંત પંચમીનું મહત્વ અને વિદ્યાર્થી જીવનમાં વિદ્યાનું મૂલ્ય સમજાવતું પ્રેરક ઉદબોધન આપ્યું હતું અને સૌને શુભેચ્છા પાઠવી હતી. શાળાના સંચાલક પૂજ્ય કે. પી. સ્વામીએ પણ આ પ્રસંગે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.આ સમગ્ર પ્રસંગે ગુરુકુલનું વાતાવરણ ભક્તિ અને વિદ્યામય બની ગયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:34 pm

નાના વરાછામાં મહારાણા પ્રતાપ શાળામાં ત્રિવિધ પર્વ ઉજવાયા:વસંત પંચમી, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી અને નેતાજી જયંતીની ઉજવણી કરાઈ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨, નાના વરાછા ખાતે ત્રિવિધ પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વસંત પંચમી, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી જયંતી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતીના કાર્યક્રમોનું આયોજન થયું હતું. કાર્યક્રમનો શુભારંભ વિદ્યાની દેવી મા સરસ્વતીના પૂજન-અર્ચન સાથે કરવામાં આવ્યો. આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ વસંત પંચમીના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે, વસંત પંચમી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિન છે અને આ દિવસથી પ્રકૃતિ પણ નવપલ્લવિત બને છે. શિક્ષક રાજેશકુમાર ધામેલિયાએ વસંત પંચમી, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી જયંતી અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, વસંત પંચમીના પાવન દિવસે ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ ઉજવાય છે. 'ગ્રંથરત્ન શિક્ષાપત્રી'માં દર્શાવેલા નિયમોનું પાલન કરવાથી આનંદમય જીવનની પ્રાપ્તિ થાય છે અને પારિવારિક પ્રશ્નોથી લઈને વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન આ પાવન ગ્રંથમાંથી મળી શકે છે. શ્રીમતી નયનાબહેન લાઠિયાએ નેતાજી સુભાષચંદ્ર બોઝના કાર્યોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. નેતાજીનું આઝાદીની લડતમાં મોટું પ્રદાન હતું. તેમણે 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' અને 'ચલો દિલ્હી' જેવા સૂત્રો આપ્યા હતા. આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષબાબુએ સંભાળ્યું હતું, જેનું દેશની આઝાદીની ચળવળમાં મોટું પ્રદાન છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતીના ઉપક્રમે નયનાબહેન દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નસીત યુગ સંજયભાઈએ પ્રથમ, પરમાર હર્ષ મહેન્દ્રભાઈએ દ્વિતીય અને સાવલિયા ધર્મ મહેશભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.આ ત્રિવિધ કાર્યક્રમમાં શાળાના સોળસોથી વધુ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:33 pm

ડો. સુભાષ કોલેજમાં વસંત પંચમીની ઉજવણી:બલરામ ચાવડાએ ભારતીય સંસ્કૃતિને પ્રેરણારૂપ ગણાવી

ડો. સુભાષ મહિલા કોલેજ દ્વારા વસંત પંચમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.આચાર્ય બલરામ ચાવડાએ વસંત પંચમીને 'જ્ઞાન પંચમી' તરીકે ઓળખાવી સરસ્વતી વંદના કરી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિની જ્ઞાન પરંપરા અને તેના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું.ચાવડાએ વિદ્યાર્થીઓને જ્ઞાનના ઉજ્જવળ પ્રકાશને અપનાવી રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક નિસ્બત પ્રત્યે જાગૃત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્ઞાન વિતરણની અનેક રીતો છે, જે અભણ વ્યક્તિઓ પાસેથી પણ શીખી શકાય છે. તેમણે કવિઓની કવિતાઓ ટાંકીને વસંતનો મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના અધ્યાપક કૌશિકરાય પંડ્યાએ વસંત પંચમી અને પ્રાકૃતિક જીવનશૈલીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આપણી જ્ઞાન પરંપરાના વારસાને જાળવવા અને સાંસ્કૃતિક ભૂમિકા વિશે સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં સરસ્વતી વંદના અને સ્મરણાંજલિ ગાન દ્વારા આદ્ય સ્થાપક પેથલજીભાઈનું સ્મરણ કરવામાં આવ્યું હતું. ઉપક્રમનું સંચાલન ચેતનાબહેન ચુડાસમાએ કર્યું હતું, જ્યારે સમાપન નયનાબહેન ગજ્જરે કર્યું હતું. શ્રી હીરાબહેન રાજવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. સુભાષ યુનિવર્સિટીના ફાઉન્ડર અને જાહેર જીવનના અગ્રણી જવાહરભાઈ ચાવડાએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:32 pm

હથિયાર સાથે શખ્સ ઝડપાયો.:જૂનાગઢમાં મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે આંટાફેરા કરતો શખ્સ ઝડપાયો; SOGએ તમંચો અને 3 જીવતા કાર્તૂસ કબજે કર્યા

​જૂનાગઢ શહેરમાં ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર હથિયારો પકડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન SOG ને મોટી સફળતા મળી છે. એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી મેડિકલ કોલેજની પાછળથી એક શખ્સને દેશી તમંચા અને જીવતા કાર્તૂસ સાથે દબોચી લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા SOG પીઆઈ આર.કે. પરમાર અને પીએસઆઈ ડી.કે. સરવૈયાની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન હેડ કોન્સેબલ મેણસીભાઈ અખેડ અને કોન્સેબલ રોહિતભાઈ ધાધલને ચોક્કસ બાતમી મળી હતી કે, રસીયાદખાન નાસીરખાન યુસુફજઈ નામનો શખ્સ હથિયાર સાથે મેડિકલ કોલેજની પાછળ આંબાવાડી વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીવાળા સ્થળે પોલીસે વોચ ગોઠવી રસીયાદખાનને અટકાવી તેની તપાસ કરતા, તેની પાસે રહેલી પીળા કલરની થેલીમાંથી રૂ. 10,000ની કિંમતનો એક દેશી હાથ બનાવટનો તમંચો અને રૂ. 300ની કિંમતના 3 નંગ જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 10,300નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એ. ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.​આ સફળ કામગીરીમાં SOGના પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા, એએસઆઈ કરશનભાઈ મોઢા, વિક્રમભાઈ ચાવડા, હેડ કોન્સેબલ મેણસીભાઈ, પ્રતાપભાઈ, બાલુભાઈ, અનિરૂધ્ધભાઈ અને કોન્સેબલ રોહિતભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:31 pm

KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પ્લેનેટેરિયમ ડોમ લાવવામાં આવ્યો:રાવ સાહેબ J.C. મુનશી સ્કૂલના બાળકો માટે વિશેષ આયોજન

આજ રોજ રાવ સાહેબ J.C. મુનશી સ્કૂલ ખાતે KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા શાળાના બાળકો માટે પ્લેનેટેરિયમ ડોમનું આયોજન કરવામાં આવ્યું.આ ડોમમાં બાળકોને ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 મિશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અંતરીક્ષ વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ અને રસ જોવા મળ્યો.આ સંપૂર્ણ કાર્યક્રમ KP ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી બાળકો પાસેથી કોઈપણ ખર્ચ લીધા વિના સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:30 pm

ED દ્વારા ખેર લાકડાની તસ્કરીમાં કાર્યવાહી:ગોધરામાં ₹11.3 કરોડની સંપત્તિઓ જપ્ત કરાઈ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ખેરના લાકડાની ગેરકાયદેસર તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ગોધરામાં આશરે ₹11.3 કરોડની 14 સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં કાલોલ તાલુકાના ખસાલીયા રેલવે સ્ટેશન નજીક આવેલી 'મિનરલ પ્રોડક્ટ' નામની વિશાળ ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર, આ ફેક્ટરીમાં મોટા પાયે ખેરના લાકડાનો સંગ્રહ કરીને તેમાંથી પાનમાં વપરાતો કાથો અને અન્ય પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. EDએ ગોધરાના મુસ્તાક આદમ તાસીયા અને મોહમ્મદ તાહિર અહમદ હુસૈન સહિતના આરોપીઓની આ સંપત્તિઓ ટાંચમાં લીધી છે. આરોપીઓ પર વન વિભાગની પૂર્વ મંજૂરી વિના ગુજરાતના તાપી, વ્યારા, નવસારી અને નર્મદા જેવા વિવિધ જિલ્લાઓના સંરક્ષિત જંગલ વિસ્તારોમાંથી કિંમતી ખેરના લાકડાની ગેરકાયદેસર કાપણી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ થયો હતો. નોંધનીય છે કે, વર્ષ 2024 દરમિયાન પણ તપાસ એજન્સીએ આ મામલે તપાસ હાથ ધરી હતી અને જરૂરી વિગતો એકત્રિત કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:30 pm

પાટણની BDSV શાળાએ વાલી સંપર્ક અભિયાન શરૂ કર્યું:વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા માટે માર્ગદર્શન આપ્યું

શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ દ્વારા ફેબ્રુઆરી 2026માં યોજાનારી SSC અને HSC પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એક વિશેષ વાલી સંપર્ક પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તણાવમુક્ત અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષાનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે. આ પહેલ અંતર્ગત, શાળાના કુલ 24 શિક્ષકોએ ધોરણ 10 અને 12ના 450 વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વાલી સંપર્ક કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ માર્ગદર્શનમાં અભ્યાસની યોગ્ય પદ્ધતિઓ, સમય વ્યવસ્થાપન, પુનરાવર્તન કેવી રીતે કરવું અને માનસિક સ્વસ્થતા જાળવવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. આ પ્રયાસનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલા ભય, તણાવ અને દબાણને ઘટાડવાનો હતો. વાલીઓને પણ બાળકોને માનસિક સહારો આપવા, ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવા અને તેમના પર અયોગ્ય દબાણ ન મૂકવા અંગે સમજાવવામાં આવ્યું હતું. શાળાના આ પ્રયત્નથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાયું છે, અને વાલીઓએ પણ આ પહેલને ખૂબ પ્રશંસનીય ગણાવી છે. શાળાનું માનવું છે કે શિક્ષક, વિદ્યાર્થી અને વાલી વચ્ચેનો મજબૂત સંવાદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.શાળાના વડા ડૉ. બી.આર. દેસાઈએ જણાવ્યું હતું કે આ વાલી સંપર્ક અને માર્ગદર્શન અભિયાન વિદ્યાર્થીઓને તણાવમુક્ત બનાવી સફળ પરીક્ષા માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સમગ્ર આયોજન સુપરવાઈઝર પી.આર. દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Jan 2026 7:29 pm