ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શુક્રવારે સવારે બે કલાક દરમિયાન “લોકશાહી બચાવો ધરણાં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યોની સરેઆમ હત્યા થઈ રહી છે અને તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે, આ અંગે લાલભા ગોહિલએ ધરણાં દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારના ઈશારે પોલીસ અને પ્રશાસન વહીવટી તટસ્થતા ભૂલીને ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે, ઉમેદવારોને ડરાવી-ધમકાવીને અથવા લાલચ આપીને ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે વધુમાં, કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ પર ખોટી રીતે FIR કરીને તેમને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલનું નિવેદનભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે લોકશાહીના સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું છે, ભાજપ અત્યંત નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે, પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા અમારા ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવામાં આવે છે અમે ચૂંટણી પંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, લોકશાહી બચાવવી એ અમારી ફરજ છે અને કોંગ્રેસ પક્ષ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે. ભાજપના ઈશારે કામ કરતા પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, ચૂંટણીમાં દરેક ઉમેદવારને મળેલા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે,રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવતી ખોટી કાયદાકીય કાર્યવાહી બંધ થાય, આ ધરણાં કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના તમામ અગ્રણીઓ, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરના ખેડૂતવાસમાં ગત રાત્રે સામે જોવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી અને ઝપાઝપી બાદ જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી હતી. શખસે ગાળો આપી ધમકી આપ્યા બાદ યુવકે તેનો પીછો કરતા પ્રભુદાસ તળાવ પાસે ફરી વિવાદ થયો હતો. બનાવને લઈને યુવકે ઘોઘા રોડ પોલીસ મથકમાં શખસ સામે ગુનો નોંધાવ્યો હતો. સામે કેમ જોવે છે કહી બબાલ કરીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ પાસે રહેતા વિવેક ઉર્ફે ડોન સોલંકી (ઉંમર 20)એ આકાશ ઉર્ફે ખોંગો બારૈયા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર ગતરાત્રે વિવેકભાઈ પોતાના મિત્ર સાથે ખેડૂતવાસ પાટા પાસે ઉભા હતા. ત્યારે આકાશ બાઈક લઈને ત્યાં આવી “મારી સામે કેમ જોવે છે” કહી ગાળો બોલી ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીથોડા સમય પછી પિતાને ફોન કરવાની વાત કરી સ્થળ પરથી નીકળી ગયો હતો. બાદમાં વિવેક અને તેના મિત્રએ રાહદારીના ટુ-વ્હીલરમાં તેનો પીછો કરી પ્રભુદાસ તળાવ મઢુલી પાસે તેને અટકાવ્યો હતો. જ્યાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. દરમિયાન આકાશે વિવેકને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો વધુ ગંભીર બન્યો હતો. બનાવના પગલે ઘોઘા રોડ પોલીસે આકાશ ઉર્ફે ખોંગો બારૈયા સામે BNSની કલમ 115(2), 352, 351(3) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદમાં ભાગવત સપ્તાહ મોક્ષગાથા યોજાઈ:રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજન
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ ગોવિંદપાર્ક સોસાયટી ખાતે રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાત દિવસીય કથા 11-04-26 થી 17-04-26 સુધી ચૈત્રવદ નોમથી અમાસ દરમિયાન સર્વ જ્ઞાતિના પિતૃ મોક્ષાર્થે યોજાઈ રહી છે. કથાના વક્તા તરીકે શાસ્ત્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા), સંસ્કૃત PHD, દ્વારા શ્રીમદ્ ભાગવતજીના પ્રસંગોનું સરળ અને શિસ્તબદ્ધ શૈલીમાં વર્ણન કરવામાં આવી રહ્યું છે. કથાનો પ્રારંભ હર્ષભેર પોથી યાત્રાથી થયો હતો. શિક્ષિત, અભણ અને નાના બાળકો સહિત તમામ શ્રોતાઓ પૂરો દિવસ હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે. 41 ડિગ્રી તાપમાન હોવા છતાં, 25% થી વધુ 60 વર્ષથી ઉપરના શ્રોતાઓ સતત હાજરી આપી રહ્યા છે. આ કથા દરમિયાન વિવિધ સામાજિક અને પર્યાવરણીય સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય ગાન દ્વારા રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવી, પ્રકૃતિ સંવર્ધન માટે સંદેશ, સ્વૈચ્છિક સ્વચ્છતા અપનાવવી, શુદ્ધ સાત્વિક આહાર લેવો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. દરેક શ્રોતાને એક વૃક્ષ આપી તેના સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. પિતૃ આત્માની શાંતિ માટે દર વર્ષે પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે. પાણીના સંરક્ષણ માટે પાણીનો બગાડ એ પાપ છે તેવો ખાસ સંદેશ આપી મર્યાદિત ઉપયોગ કરવા સૌને જાગૃત કરવામાં આવ્યા છે. કૌટુંબિક જીવનમાં રામકથાનું માર્ગદર્શન અને સંઘર્ષના સમયમાં શ્રીકૃષ્ણ જેવી મનોવૃત્તિ રાખી જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આ કથા દ્વારા આપવામાં આવી હતી.
બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે.32 વર્ષીય શેખર ક્રિષ્ના યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હતો. આ મામલે સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીને અરેસ્ટ કર્યો છે. બે દિવસ પહેલાં જ સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બન્યા15 એપ્રિલે સમ્રાટ ચૌધરી બિહારના 24માં મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને લોકભવનમાં સવારે 11 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
સુરેન્દ્રનગરમાં 19 એપ્રિલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પ્રસંગે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર અને પશ્ચિમ વિભાગના બ્રાહ્મણ સમાજ દ્વારા શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પરશુરામની શોભાયાત્રા સાંજે 5 વાગ્યે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી પરથી શરૂ થશે. આ યાત્રા ભગવાન પરશુરામ ચોક, જ્યુસિકા, ટાંકીચોક, પતરાવાળી ચોક અને વાડીલાલ ચોક થઈને પરત ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી પહોંચશે.ભગવાન પરશુરામ ચોક ખાતે ભૂદેવો, સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનો દ્વારા ભગવાનની ફરસીને ફુલહાર અર્પણ કરવામાં આવશે. શોભાયાત્રાના સમાપન બાદ સાંજે 7.30 વાગ્યે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી ખાતે ભગવાન પરશુરામની મહાઆરતી યોજાશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29 ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે. તેમના સોગંદનામા મુજબ, સુધા પાંડેએ 1997માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેની ઉપરની વિગતમાં તેમણે 1996માં MA પૂર્ણ કરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની પદવી મેળવવાની આ અજીબોગરીબ વિસંગતતાને કારણે વિપક્ષોએ તંત્રની કામગીરી અને ઉમેદવારની લાયકાત સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે ઉમેદવારે આને માત્ર 'ટાઈપિંગ મિસ્ટેક' ગણાવી છે. 1997માં ગ્રેજ્યુએશન અને 1996માં માસ્ટર્સની પદવી! સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે, પરંતુ આ દરમિયાન વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેનું ચૂંટણી સોગંદનામું સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યું છે. આ વિવાદનું મુખ્ય કારણ તેમની શૈક્ષણિક લાયકાતના વર્ષો છે. એફિડેવિટમાં દર્શાવ્યા મુજબ, સુધા પાંડેએ રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશથી વર્ષ 1997માં BA (બેચલર ઓફ આર્ટસ)ની ડિગ્રી મેળવી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેની બરાબર નીચે જ તેમણે એવું દર્શાવ્યું છે કે તેમણે તે જ યુનિવર્સિટીમાંથી 1996માં MA (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી લીધી હતી. એટલે કે, નિયમ મુજબ સ્નાતક થયા પછી જ અનુસ્નાતક થઈ શકાય, પરંતુ અહીં ઉમેદવારે BA કરતા એક વર્ષ પહેલા જ MA પૂર્ણ કરી લીધું હોવાનું સામે આવ્યું છે. શૈક્ષણિક લાયકાતમાં 'લોજિક'નો અભાવ, સો. મીડિયામાં ચર્ચાચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિગતોમાં આ પ્રકારનો છબરડો સામે આવતા મતદારોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂરો કર્યા બાદ જ બે વર્ષના માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. સુધા પાંડેના કિસ્સામાં 1997માં ગ્રેજ્યુએશન પૂર્ણ થયું હોવા છતાં, 1996ની સાલમાં માસ્ટર્સની ડિગ્રી કેવી રીતે મળી શકે તે એક મોટો તર્ક-વિતર્કનો વિષય બન્યો છે. આ વિસંગતતાને કારણે લોકો હવે ઉમેદવારની શૈક્ષણિક કારકિર્દીના ક્રમ પર રમૂજ અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર સામે સવાલ, વિપક્ષે લગાવ્યા ગંભીર આક્ષેપોઆટલી મોટી અને દેખીતી ભૂલ હોવા છતાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન સુધા પાંડેનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવતા વિપક્ષી નેતાઓ લાલચોળ થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષના દબાણ હેઠળ ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, જો સામાન્ય જનતા કે અપક્ષ ઉમેદવારના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો પછી ભાજપના ઉમેદવારના કિસ્સામાં આટલી મોટી વિસંગતતા કેમ ચલાવી લેવામાં આવી? સત્તાના જોરે ખોટા દસ્તાવેજો અથવા વિગતોને માન્ય રખાઈ હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ચૂંટણી જંગ ગરમાયો, પ્રામાણિકતા સામે સવાલોવોર્ડ નંબર 29માં આ શૈક્ષણિક વિવાદને કારણે હવે ચૂંટણીનો માહોલ વધુ ઉગ્ર બન્યો છે. જનતામાં ઉમેદવારની પ્રામાણિકતા અને લાયકાત અંગે ચર્ચાઓ જાગી છે. વિપક્ષે માગ કરી છે કે ચૂંટણી પંચે આ મામલે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જો વિગતો ખોટી સાબિત થાય તો ઉમેદવારનું ફોર્મ રદ કરવું જોઈએ. આ વિવાદને કારણે ભાજપ બેકફૂટ પર જોવા મળી રહ્યું છે, જ્યારે અન્ય પક્ષો આ મુદ્દાને મતદારો વચ્ચે લઈ જઈને ભાજપની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉમેદવારનો બચાવ, 'ટાઈપિંગ મિસ્ટેક' હોવાનો દાવોસમગ્ર વિવાદ વકરતા ભાજપના ઉમેદવાર સુધા પાંડેએ પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક ટેકનિકલ ખામી અથવા ટાઈપિંગ મિસ્ટેક છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તમામ અસલ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ ઉપલબ્ધ છે, જેમાં વર્ષોનો ક્રમ એકદમ સાચો છે. એફિડેવિટ તૈયાર કરતી વખતે વર્ષ લખવામાં ભૂલ થઈ હોઈ શકે છે, પરંતુ તેમના દસ્તાવેજો સાચા છે અને ગમે ત્યારે તેની ખરાઈ કરી શકાય છે. જોકે, આ ખુલાસો વિપક્ષ અને સોશિયલ મીડિયાના યુઝર્સને કેટલો સંતોષ આપે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
વઢવાણ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:29 એપ્રિલથી 13 મે દરમિયાન વઢવાણ રેલવે મેદાનમાં રમાશે
વઢવાણ ખાતે વઢવાણ કપ ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 29 એપ્રિલથી 13 મે દરમિયાન વઢવાણ રેલવે મેદાનમાં રમાશે. ખજૂરીવાળા મેલડી માતાજી દેવસ્થાનના લાભાર્થે આયોજિત આ ટુર્નામેન્ટનો પ્રારંભ 29 એપ્રિલે મોડી સાંજે થશે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 65થી વધુ ટીમો ભાગ લેશે અને કુલ 15 રાત્રી મેચો રમાશે. આ મેચો જોવા માટે 10,000થી વધુ દર્શકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. વઢવાણ રેલવે મેદાનમાં છેલ્લા 35 વર્ષથી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની પરંપરા રહી છે. દરરોજ ચારથી વધુ મેચો રમાશે, જેમાં દરેક મેચ 10 ઓવરની રહેશે. ટુર્નામેન્ટમાં લાઈવ સ્કોરિંગ અને મેચની જાણકારી માટે ખાસ એપ પણ બનાવવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની ટીમો અને ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આગામી 13 મેના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે.
લુણાવાડામાં જોખમી ખાડાનું સમારકામ શરૂ:દિવ્ય ભાસ્કર ડિજીટલના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર અંબાજી માતા મંદિર પાસેના જોખમી ખાડા મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ ખાડા અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ રોડ ઓથોરિટીએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું છે. આ ખાડો વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરતો હતો. તે લુણાવાડા શહેરના મુખ્ય માર્ગ પર આવેલો હતો, જેના કારણે દૈનિક ધોરણે પસાર થતા હજારો વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. અગાઉ આ ખાડાના કારણે એક એક્ટિવા ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી અને વાહનને નુકસાન થયું હતું. આ ઉપરાંત, અનેક વાહનચાલકો પણ આ જ ખાડાના કારણે દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાના બનાવો સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ બાદ રોડ ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક લોકો અને વાહનચાલકોએ રાહત અનુભવી છે.
સુરતમાં મોટા વરાછા સ્થિત શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં પાડોશમાં રહેતી મહિલાએ પુત્રીના પ્રેમલગ્નની અદાવત રાખી ગોરધનભાઈ ડોંડા નામના વૃદ્ધ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની કોશિશ કરતાં પોલીસે ઉષા નામની મહિલાની ધરપકડ કરી છે. ત્યારે આરોપી મહિલાનો પુત્ર પીડિત ડોંડા પરિવારના જર્મની અભ્યાસ કરતા દીકરાને ધમકાવતો હોવાનું પણ સામે આવ્યું છે. કોલ કરીને કહેતો હતો કે ઘેનની ટીકડી નાખી હતી. જો કઈ બીજી ટીકડી નાખી હોત તો કાયદેસર પૂરું થઈ ગયું હોત. આ સાથે જ તેમના પરિવારને આ કેસને આગળ ન વધારવા માટે પણ કહેતો હતો. 'બીજી ટીકડી નાખી હોત તો તો કાયદેસર પૂરું જ થઈ ગયું હોત'આ સમગ્ર ઘટનામાં જ્યારે ભોગ બનનાર પરિવારે મીડિયામાં આરોપી મહિલા અંગે આક્ષેપો કર્યા હતા. ત્યારે આરોપી મહિલા ઉષા નાકરાણીના પુત્રએ ભોગ બનનાર કિરણબેન ડોંડાના જર્મની અભ્યાસ કરતા પુત્રને કોલ કરીને ધમકાવ્યો હતો. કોલ કરીને કહ્યું હતું કે, તું તારા પપ્પાને એવી રીતે વાત કર કે પપ્પા આપણે બધું અંદરો અંદર છે. આપણને ઘરનું થાય, એમને પણ ઘરનું થાય, એનેય દુઃખ લાગે, બધાને દુઃખ લાગે. એની ક્રેડિટ જાય, આપણી ક્રેડિટ જાય. અને તો પણ મળે શું કંઈ? લાડવો મળ્યો? આ તો બચી ગયા કે હાલો ઘેનની ટીકડી નાખી હતી કે માથાની ટીકડી નાખી હતી, એક વસ્તુ સમજી લે. કંઈક બીજી ટીકડી નાખી હોત તો તો કાયદેસર આપણે પૂરું જ થઈ ગયું હોત, એક વસ્તુ સમજી લેજે. આ તો આપણા નસીબ અને કરમ કે ભાઈ એટલું નહોતું થવાનું ને તોય આમાં આટલી બધી વસ્તુ ઉમેરીને થઈ ગઈ છે, એક વસ્તુ સમજી લેજે. ‘એવું કરવું હોય તો આવી દવા ન નાખે’વધુમાં ધમકાવતા કહ્યું હતું કે, સમજો કંઈ? એટલે તું તારી રીતે તારા પપ્પાને કંઈક હવે કન્વિન્સ કર, કોઈને, તારા દાદાને, કે આવી રીતે પપ્પા કે દાદા કે બાપુજી આવી રીતે છે, હવે જે કંઈ થઈ ગયું છે એનું જે તમારે સમજવું હોય એક વસ્તુ સમજી લેજો. આપણે કંઈ નથી એવા કોઈ અને આપણો એવો કોઈ ઈરાદો હતો નહીં કે ભાઈ તમને આવી રીતે સાવ કરી દઈએ. અને એવું કરવું હોય તો આવી દવા ન નાખે, એક વસ્તુ સમજે. બાકી તું ઓળખે છે. ઘટના શું હતી?નિવૃત્ત જીવન ગાળતાં 70 વર્ષીય ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા (મૂળ રહે. નારી, જિ. ભાવનગર) 10 એપ્રિલે બપોરે ગાર્ડનમાંથી પરત ફર્યા ત્યારે તેમના ફ્લેટના ઉંબરામાં એક પ્લાસ્ટિકની થેલીમાં બે લાડુ જોવા મળ્યા હતા. કોઈ પ્રસાદી મૂકી ગયું હશે તેમ સમજી ગોરધનભાઈએ તેમાંથી ચુરમાના લાડુનો ટુકડો ખાધો હતો અને તેમની પુત્રવધૂ કિરણબેનને પણ આપ્યો હતો. પ્રસાદી સમજીને લાડુ ખાધાના થોડા સમય બાદ ગોરધનભાઈ તેમના મિત્ર સાથે ઉત્રાણ પાવર હાઉસ પાસે મઠો લેવા ગયા હતા, જ્યાં તેમને અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. તેને કિરણ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ ભાનમાં આવ્યા હતા. બીજી તરફ તેમની પુત્રવધૂ કિરણબેનને પણ ઝેરી અસર થતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવના પગલે ઉત્રાણ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગોરધનભાઈની સામેના ફ્લેટમાં રહેતી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણીની દીકરી એકાદ વર્ષ પહેલા એક યુવક સાથે ભાગી જઈ લવ મેરેજ કર્યા હતા. ઉપાબેનને વહેમ હતો કે આ વાતની જાણ ગોરધનભાઈની પુત્રવધૂ કિરણ અને પૌત્રી ઈશાને હતી. તેમજ તેની આ દીકરી ડોંડા પરિવાર સાથે વાતચીત કરતી હતી, જે પસંદ ન હતી. તેમજ નિકીતાને પ્રેમલગ્ન કરવા પાછળ તેઓનો હાથ હતો, છતાં તેમણે જણાવ્યું નહોતું. આ અદાવત રાખી ઉષાબેને લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી પરિવારને ખતમ કરવાના ઈરાદે દરવાજા પાસે મૂક્યા હતા. ગોરધનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઉષાબેન નાકરાણી (રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, ઉત્રાણ, મૂળ રહે. કુજડી, જિ. ભાવનગર)ની ધરપકડ કરી હતી.
મોરબીમાં 100 થેલી યુરિયા ખાતર ઝડપાયું:બોલેરો ગાડીમાંથી બિલ વગરનો જથ્થો, એક શખ્સ પકડાયો
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પરથી શંકાસ્પદ રીતે યુરિયા ખાતરની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બોલેરો ગાડીમાંથી બિલ વગરની યુરિયા ખાતરની 100 થેલીઓ મળી આવી હતી. પોલીસે ખાતર અને વાહન સહિત કુલ રૂ. 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે રોડ પર શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી નંબર GJ 13 AX 2876 ને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા પાછળના ભાગે યુરિયા ખાતરની 100 થેલીઓ ભરેલી જોવા મળી હતી.પોલીસે વાહનચાલક અશોકભાઈ ધનજીભાઈ ઝાપડિયા (ઉંમર 36, રહે. પરનાળા, તા. લીમડી, જિ. સુરેન્દ્રનગર) પાસેથી યુરિયા ખાતરની થેલીઓનું બિલ માંગતા તેની પાસે કોઈ બિલ મળ્યું ન હતું. આથી પોલીસે ખાતરનો જથ્થો શંકાસ્પદ જણાતા કબજે કર્યો હતો.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 27,000 ની કિંમતનું યુરિયા ખાતર અને રૂ. 2 લાખની કિંમતની બોલેરો ગાડીનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આ યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો થયો છે. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી કાઢી છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પડાશે. અગાઉ અમદાવાદ સ્થિત મોટેરામાં આવેલા આસારામ આશ્રમની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ કર્યો હતો. કલેક્ટરે આદેશમાં નોંધ્યું હતું કે આશ્રમે જમીન આપતી વખતે સરકારે મૂકેલી શરતો ભંગ કરી છે. ત્યારબાદ આશ્રમે કલેક્ટરના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટ સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો, જેથી આશ્રમે ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી નોંધ્યું હતું કે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને નદીની જમીન પણ પચાવી છે. નદીનું જમીનનું રેગ્યુલરાઇઝેશન થઈ શકે નહી. આશ્રમે સ્ટે માંગી કહ્યું હતું કે 45 વર્ષ કરતા વધુ સમયથી આ જમીન અમારા કબજામાં છે. તો હાઇકોર્ટે કહ્યું કે જમીન ખાલી કરો તો સ્ટે આપીએ. આશ્રમે કહ્યું કે બાહેંધરી આપીએ તો સુપ્રીમમાં આદેશ મુજબ અપીલ થઈ શકે નહીં. હાઇકોર્ટે કહ્યું આશ્રમે 4 અઠવાડિયા માટે સ્ટે માંગ્યો છે, જેથી તેઓ ઉપરની કોર્ટમાં અપીલમાં જઈ શકે. જો કે સરકારી વકીલે બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે. આશ્રમની જમીન ખાલી કરવા લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત ઓથોરિટી નવી નોટિસ આપશે. એ પછી નોટીસમાં દર્શાવેલ સમયમાં દબાણવાળી જગ્યા જાતે ખાલી કરવાની હોય છે, નહીંતર ઓથોરિટી તોડશે. 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે!અમદાવાદમાં આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે, અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી છે. તેથી આગામી સમયમાં 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે! વાંચો સંપૂર્ણ સમાચાર
ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મહેસાણાના કુકસ ગામમાં તંત્ર અને સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન દાખલ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર તરફથી ઉકેલ ન આવતા વિરોધગ્રામજનોનો મુખ્ય વિરોધ ગામમાં સૂચિત ઇન્ડસ્ટ્રિયલ ઝોનને લઈને લોકોમાં એવી ભીતિ છે કે, જો અહીં ઉદ્યોગો આવશે તો પ્રદૂષણનું પ્રમાણ વધશે. ખેડૂતોની મોટા પ્રમાણમાં જમીનો કપાસે જેના કારણે ખેતી લાયક જમીન અને ગ્રામીણ સ્વાસ્થ્ય પર માઠી અસર પડશે. આ ઉપરાંત ટીપી અને ડીપી સ્કીમથી સ્થાનિકોના હિતો જોખમાતા હોવાનો સુર પણ ઉઠ્યો છે. આ બાબતે અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ 'ઢંઢેરો પીટી'ને એકસૂરે ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે. ગામમાં ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધગામમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રિયલ ઝોન રદ કરવામાં નહીં આવે અને ટીપી-ડીપીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈપણ પક્ષના ઉમેદવારને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જો આવનારા દિવસોમાં સરકાર નમતું નહીં જોખે તો આ આંદોલન વધુ તેજ બનાવવાની અને મતદાનના દિવસે બૂથ ખાલી રાખવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.
ભરૂચમાં ABVP દ્વારા GCAS પોર્ટલ સામે વિરોધ:રાજ્યવ્યાપી આંદોલન અને ઉગ્ર ધરણા-પ્રદર્શનની ચેતવણી
ભરૂચની એમ.કે. કોલેજ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GCAS પોર્ટલને લઈને ABVP ગુજરાત પ્રદેશે રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. પોર્ટલની ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સુધારા ન થતા, ABVPએ હવે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. ABVPના જણાવ્યા અનુસાર, GCAS પોર્ટલ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ જોવા મળી છે. આના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. ખાસ કરીને, પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને વધુ ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 33 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલવા છતાં રાજ્ય યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં લગભગ 50 ટકા બેઠકો ખાલી રહી છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવી વિદ્યાર્થીઓ માટે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. ABVP ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજ્યમાં વોલ રાઈટિંગ, ક્લાસ ટુ ક્લાસ કેમ્પેઇન અને પરચા વિતરણ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં દરેક જિલ્લા મુખ્ય મથકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર ધરણા-પ્રદર્શન યોજી આંદોલન વધુ તેજ કરવામાં આવશે. ABVPએ રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે. જેમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો, અથવા તો પ્રવેશ પ્રક્રિયાને ડીસેન્ટ્રલાઈઝ કરીને યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત કરવી, અને રજીસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવતા 300 રૂપિયાનો ઘટાડો અથવા તેને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ઉગામેડીમાં AAP ઉમેદવારનો ડોર-ટુ-ડોર પ્રચાર:જિલ્લા પંચાયત બેઠક માટે પત્રિકા વિતરણ કરી મત માંગ્યા
ગઢડા તાલુકાની ઉગામેડી જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોએ ઉગામેડી ગામમાં ડોર-ટુ-ડોર સંપર્ક શરૂ કર્યો છે. આ અભિયાન અંતર્ગત, AAPના ઉમેદવાર મહેન્દ્રભાઈ સાટીયા અને તેમના કાર્યકરો મતદારોને રૂબરૂ મળી રહ્યા છે. તેઓ પત્રિકાઓનું વિતરણ કરીને પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે, તેમના પ્રચારને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન, વોર્ડ નંબર 13ના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે એક અનોખી પ્રચાર પદ્ધતિ અપનાવી છે. આ ઉમેદવારોએ એક મોટર કારને કેસરિયા રંગથી રંગી છે. આ કાર પર ચાર ઉમેદવારો – કુસુમબેન ઉદયભાઈ સોલંકી, રૈયાબેન વિજયભાઈ કટોડિયા, ઈશ્વરભાઈ લખમણભાઈ ખાંદલા અને પ્રવીણભાઈ પરાગભાઈ પરમાર – ના ફોટા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્ય, પક્ષના જિલ્લા પ્રમુખ અને પક્ષનું ચિહ્ન પણ કાર પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રકારનો અનોખો ચૂંટણી પ્રચાર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉમેદવારો આ રીતે મતદારોનું ધ્યાન ખેંચી રહ્યા છે અને પોતાના પક્ષ તથા ઉમેદવારોને યાદ રાખવામાં મદદ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હિંમતનગરના ચૂંટણી પ્રવાસે:સવારથી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, બપોરે સભા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લેશે. તેઓ બપોર બાદ શહેરમાં આવશે, જેને પગલે સવારથી જ વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ બપોરે ૩ વાગ્યા પછી શરૂ થશે. તેઓ મહેતાપુરા ખાતે ભાજપના વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ નરનારાયણ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ પછી, નૈયા પાર્ટી પ્લોટમાં 'વિકાસ સંકલ્પ સભા' યોજાશે અને અંતે પ્રાંતિજના સોનાસણ ચાર રસ્તા પાસે 'વિજય સંકલ્પ સભા'ને સંબોધશે. આ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા કોલેજ ગ્રાઉન્ડ હેલિપેડ પર ઉતરશે. ત્યાંથી તેઓ રોડ માર્ગે મોતીપુરા થઈને મહેતાપુરા જશે અને પરત તે જ માર્ગે ફરશે. મુખ્યમંત્રીના રૂટ અને સભા સ્થળો પર સવારથી જ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને એસપી સહિતનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રૂટ પર ઠેર ઠેર પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વેગ આપવા માટે વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. ગતરાત્રે ભાજપ દ્વારા શહેરના વોર્ડ નંબર 1, 3, 4 અને 5 સહિતના વિસ્તારોમાં વિધિવત રીતે વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યાકાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી ભરત ડાંગર, અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી સહિતના ઉચ્ચ હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ રિબન કાપી કાર્યાલયોને જનતા અને કાર્યકરો માટે ખુલ્લા મૂક્યા હતા. આ કાર્યક્રમોમાં સ્થાનિક કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. ભાજપની ભવ્ય વિજય આશા વ્યક્ત કરી ઉદ્ઘાટન બાદ યોજાયેલી સભાઓમાં સંબોધન કરતા મહાનુભાવોએ આગામી સમયમાં ભાજપના ભવ્ય વિજયનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રભારી ભરત ડાંગર અને અશોક ચૌધરીએ કાર્યકરોને સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા અને બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર રેકોર્ડબ્રેક બહુમતી સાથે જીત હાંસલ કરશે. કાર્યાલયો શરૂ થતા હવે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બની છે.
મોરબી-હળવદ હાઈવે રોડ પર શિરોઈ ગામ નજીક એક કારમાંથી આમ આદમી પાર્ટીના બે સ્થાનિક અને દિલ્હીના આગેવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે કારમાંથી દારૂની બે બોટલ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં બંને આગેવાનો સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન હળવદ પોલીસની ટીમ મોરબી-હળવદ હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે શિરોઈ ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીના પુલ પાસે એક કારમાં દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા (રહે. રુદ્ર પાર્ક-1, હળવદ, આમ આદમી પાર્ટીના ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના પ્રભારી) અને વિકાસકુમાર વિજયકુમાર (રહે. દિલ્હી, દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર આમ આદમી પાર્ટીના પ્રભારી) બંનેને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની ગાડીમાંથી 2000 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો, 20,000 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને 3 લાખ રૂપિયાની કિંમતની કાર નંબર GJ 13 AH 2321 મળીને કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આગેવાનોને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા વોર્ડ દીઠ ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટનનો પ્રારંભ થયો છે. ગત રાત્રે નવસારીના વોર્ડ નંબર 12 માં ભાજપના કાર્યાલયના શુભારંભ પ્રસંગે એક રસપ્રદ ઘટના બની હતી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે સ્ટેજ પર ભાષણ આપતી વખતે પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈને જાહેરમાં ટકોર કરી હતી. આ ઘટના નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં વોર્ડ નંબર 12 ના ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે બની હતી. આ પ્રસંગે ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના આગેવાનો બિરાજમાન હતા. પ્રમુખ ભુરાલાલ શાહ પક્ષની સિદ્ધિઓ વર્ણવતું પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પોતાના મોબાઈલ ફોનમાં શેરબજારની વિગતો જોવામાં મશગૂલ હતા. ઉલ્લેખનીય છે કે પિયુષ દેસાઈ સ્ટોક માર્કેટના મોટા ટ્રેડર તરીકે જાણીતા છે અને તેઓ સમય મળ્યે બજારની ગતિવિધિઓ પર નજર રાખતા હોય છે. જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહનું ધ્યાન પિયુષ દેસાઈ પર પડતાં તેમણે ચાલુ ભાષણે રમૂજ કરતા કહ્યું કે, હું અહીં પક્ષની વાતો કરી રહ્યો છું અને પૂર્વ ધારાસભ્ય સેન્સેક્સ અને માર્કેટ જોવામાં વ્યસ્ત છે, બોલો હવે શું કરીએ? પ્રમુખની આ ટકોર સાંભળતા જ સભામાં ઉપસ્થિત કાર્યકરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ ટકોર બાદ પિયુષ દેસાઈએ તુરંત પોતાનો મોબાઈલ ફોન બાજુ પર મૂકી દીધો હતો અને પ્રમુખના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભાજપના આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ હળવી પળોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણીના વ્યસ્ત માહોલ અને પ્રચારના થાક વચ્ચે આવા પ્રસંગો નેતાઓ દ્વારા કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે સર્જાતા હોય છે. પોતાના વક્તવ્ય દરમિયાન, ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે નવસારી જિલ્લામાં પક્ષને મળેલી બિનહરીફ જીતની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહેસાણા, 16 એપ્રિલ, 2026: જુનિયર એડિટર-8 પ્રવૃત્તિ હેઠળ શહેર અને રાજ્ય સ્તરે પસંદ કરાયેલા વિજેતાઓનો સન્માન સમારોહ આજે મહેસાણા કાર્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને ભેટ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણવિદ મનુભાઈ ચોક્સી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્ય ભાસ્કરની આ પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોની સર્જનાત્મકતા, બૌદ્ધિક વિકાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૌએ ભવિષ્યમાં પણ આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન ચાલુ રાખવા વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગરમીની વચ્ચે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામો અંગે હવે પ્રજા તેમને ‘હિસાબ’ આપી રહી હોય તેમ ભાજપના ઉમેદવારોને કામ ન કર્યું હોવાનું કહીને પ્રચારમાંથી ભગાડી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસારવા વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મત માંગવા આવેલા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સંભળાવી દીધું હતું કે તમને તો અહીંયા મત માંગવા આવતા પણ શરમ આવવી જોઈએ. ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા ત્યારે ભાજપના નેતાઓે અને કાર્યકર્તાઓ પણ ભારત માતાકી જયના સામે નારા લગાવી નીકળી ગયા હતા. જનતાએ ભાજપના નેતાઓને સંભળાવ્યું તો પણ શરમ વિના પ્રજાની કોઈપણ વાત સાંભળ્યા વગર નીકળી ગયા હતા. ભાજપના ઉમેદવારોને સોસાયટીમાં ઘૂસવા દીધા નહીંઅસારવા વોર્ડમાં પાંચ વર્ષમાં કેટલાક વિસ્તારમાં કોર્પોરેટરો જોવા આવ્યા નહીં અને પૂર્વ કોર્પોરેટરના વર્તનને લઈને તેમજ કામ કર્યા નથી તેને લઈને ભાજપ માટે મત માંગવા આવેલા અસારવાના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રજાનો અસલી મિજાજ બતાવી દીધો અને સંભળાવ્યું હતું. સોસાયટીમાં પ્રવેશ કરવા દીધો નહીં. ચૂંટણી માટે ગયેલા ભાજપના ઉમેદવારોને ભગાડવામાં આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અસારવા વોર્ડના રિપીટ કરાયેલા પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે ગેરવર્તન કર્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કરી અને સોસાયટીમાંથી ભગાડ્યા હતા. ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’વાઇરલ થયેલા વીડિયોમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતા કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું ગંદુ પાણી આવે છે મારી દીકરીને બોર્ડની પરીક્ષા હતી અને તેણે બાટલા ચડાવી અને પરીક્ષા આપી છે. ત્યારે કોઈ જોવા માટે આવ્યું નહોતું અને અત્યારે આખું લશ્કર લઈને નીકળી પડ્યા છો. કેટલાય સમયથી ખાડા પડ્યા છે જે જોવા આવવાનો સમય નહોતો. તમને અહીંયા વોટ લેવા આવતા પણ શરમ આવવી જોઈએ. ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસો થયા છે. અમે હેરાન થયા છીએ ટેન્કરો લાવવા પડ્યા છે. ફોન કરનાર રહીશોને કહ્યું- તમારા વોટની જરૂર નથીંઅસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા પછી વધુ એક સોસાયટીમાંથી પ્રચાર કર્યા વિના જ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અને મેસેજમાં અસારવા વોર્ડમાં આવેલી કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં અંદાજે 4થી 5 હજાર મતદારો છે. જો કે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં ગટર અને ગંદુ પાણી આવતું હતું જેની રજૂઆત તત્કાલીન કોર્પોરેટર અનુ પટેલને કરવામાં આવી હતી છતાં તે એક પણ વખત વિસ્તારની મુલાકાતે આવ્યા ના હતા અને ફોન કરનાર રહીશોને તમારા વોટની જરૂર નથીં એવો ટોણો મારતા હતા. ‘સોસાયટીમાં ઘૂસવા દીધા નહીં ને ભાજપ ભગાવોના નારા લાગ્યા’જોકે ભાજપે પૂર્વ ચાર કોર્પોરેટરમાંથી એક માત્ર અનુ પટેલને જ ભાજપે રિપીટ કર્યા અને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે પ્રચાર અર્થે ગુરુવારે કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં રાઉન્ડ શરૂ થાય તે પહેલા જ રહીશોએ તેમના કારણે અન્ય ત્રણ ઉમેદવારને પણ પ્રવેશ કરવા દીધો ન હતો અને તમામ ઉમેદવારોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, ભાજપના ઉમેદવારોએ સ્થાનિક નેતા અને વોર્ડના ઉપપ્રમુખને સમજાવવા આગળ કર્યા હતા પણ લોકોએ તેમની વાત પણ કાને ધરી નહોતી અને ભાજપ ભગાવોના નારા લગાવ્યા હતા.
વાપીમાં RPFએ 3 કેબલ ચોર ઝડપ્યા:‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ લાખોની રેલવે સંપત્તિ બચી
પશ્ચિમ રેલવેના ‘ઓપરેશન રેલ સુરક્ષા’ અભિયાન અંતર્ગત વાપી RPFએ બે અલગ-અલગ કાર્યવાહી કરીને રેલવે સિગ્નલ કેબલ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને કારણે લાખો રૂપિયાની રેલવે સંપત્તિનું નુકસાન અટકાવવામાં આવ્યું છે અને ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરાયો હતો. મળતી માહિતી અનુસાર, 15 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 8:45 વાગ્યે વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે ટ્રેક સર્કિટ ફેલ થવાની જાણકારી મળી હતી. આથી RPF અને સિગ્નલ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સે સિગ્નલ કેબલ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. RPFએ ત્વરિત કાર્યવાહી કરીને 35 વર્ષીય ઉમેશ સહાની નામના આરોપીને ચોરાયેલી કેબલ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. સિગ્નલ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અંદાજે ₹1.44 લાખનું નુકસાન થયું હતું. આ પહેલાં, 14 એપ્રિલે વાપી-કરમબેલી અને વાપી-ઉદવાડા સેક્શનમાં પણ ટ્રેક ફેલ થવાના કિસ્સા સામે આવ્યા હતા. કેબલ ચોરીની આ ઘટનાઓની તપાસ દરમિયાન RPFએ CPDS ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી ભીલખાડી વિસ્તારમાં જંગલ અને ઝાડીઓ વચ્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 22 વર્ષીય અમન પાંડે અને 20 વર્ષીય રોહિત નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલી કોપર કેબલ અને હેક્સા બ્લેડ પણ જપ્ત કરવામાં આવી હતી. સિગ્નલ વિભાગે તાત્કાલિક સમારકામ કરીને ટ્રેક પર ટ્રેન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. જોકે, આ ઘટનાઓને કારણે થોડા સમય માટે કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડી હતી. RPFની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેશ સહાની અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો આદતી ગુનેગાર છે. ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને સુરતની રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રેલવે તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રેલવે સંપત્તિની સુરક્ષામાં સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તરત જ RPF હેલ્પલાઈન 139 પર જાણ કરે.
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા વોર્ડ નંબર 10માં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને વોર્ડ નંબર 10ના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપની વિકાસની રાજનીતિને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે. વધુમાં, મનપા વિસ્તારના દરેક વોર્ડમાં ત્રણ કાર્યાલય ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે ચૂંટણી પ્રચારને વેગ આપશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 (લિંબાયત-પરવત કુંભારિયા)માં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેની માતાનો સંયમ તૂટી ગયો હતો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમવર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. 'મેં એના માટે દેવ-દેરા કર્યા, એણે મારી પોરીનું ન રાખ્યું'ઉમેદવારની માતાએ ભારે હૈયે અને ગુસ્સામાં નિવેદન આપ્યું હતું કે, આજે એણે (સંજયે) મારી પોરીનું માન ન રાખ્યું. મેં આ માણસ માટે કેટલી મહેનત કરી હતી, તમને ખબર છે? લોકસભાની ચૂંટણી વખતે મેં એની ઈજ્જત રાખેલી, એના માટે દેવ-દેરા કરી કરીને હું મરી ગઈ, પણ આજે એણે જ મારી દીકરી અને મારા દીકરાને રડાવ્યા છે. માતાનો આ આક્રોશ બતાવી રહ્યો હતો કે, રાજકારણની પેનલમાં જે વિશ્વાસ હોવો જોઈએ, તેનો સંજયે ઘોર અનાદર કર્યો છે. પૈસા વિરુદ્ધ ઇજ્જતની લડાઈ: માતાનો હુંકારમાતાએ સોદાબાજીના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, આજે એમની પાસે પૈસાવાળા છે એટલે આ ખેલ ખેલ્યો છે. મારી પોરી વગર પૈસાની છે, એટલે એણે આવું કર્યું? તેમણે ભીની આંખે ગર્વ સાથે ઉમેર્યું કે, જો મારી દીકરી પૈસા લઈને ખસી ગઈ હોત, તો તમે બધા અમને મારવા કે લડવા ન આવત? પણ મારી પોરી એવી નથી. મારી પોરી ભલે જીતે કે ન જીતે, પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે. આજે એણે એના મા-બાપની આબરૂ રાખી છે. રડતી દીકરી અને લાચાર પરિવારની સ્થિતિવોર્ડ નંબર 18ના મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડ કલેક્ટર કચેરીની બહાર ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. તેમની માતા સતત તેમની પડખે રહીને સાંત્વના આપવાને બદલે દગાખોર સાથી સામે લડત આપી રહ્યા હતા. પરિવારનો આરોપ છે કે, મધ્યમ વર્ગના યુવાન ઉમેદવારો જ્યારે રાજકારણમાં આગળ વધવા માગે છે, ત્યારે આવા 'પૈસાના ખેલ' તેમની કેરિયર ખતમ કરી નાખે છે. માતાએ લિંબાયતના મતદારોને સાક્ષી માનીને પૂછ્યું હતું કે શું એક ગરીબ પણ ઇજ્જતદાર ઉમેદવાર સાથે આવો અન્યાય થવો જોઈએ? લિંબાયત-પરવત કુંભારિયામાં કાર્યકરોમાં ભારે આક્રોશસંજય રામાનંદીએ જે રીતે છાનામાના કલેક્ટર કચેરી જઈને ફોર્મ પરત ખેંચ્યું, તેનાથી આખા વિસ્તારના કોંગ્રેસ કાર્યકરો સ્તબ્ધ છે. પ્રકૃતિની માતાના આ વિડીયો નિવેદનો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસર્યા છે. કાર્યકરો કહી રહ્યા છે કે જે માતાએ સંજયને દીકરા સમાન ગણીને આશીર્વાદ આપ્યા હતા, તે જ માતાના નિસાસા તેને ભોગવવા પડશે. આ વિશ્વાસઘાત બાદ સમગ્ર વોર્ડમાં કોંગ્રેસના અન્ય ઉમેદવારોની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27થી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત 'ઓનર્સ વિથ રિસર્ચ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે કુલ 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્રતા ધરાવે છે. આ કોલેજોમાં આગામી દિવસોમાં એલઆઈસી કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. વર્ષ 2023-24થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. આ નીતિ હેઠળ ગ્રેજ્યુએશન માટે ત્રણ વર્ષ અને 'ઓનર્સ વિથ રિસર્ચ' અથવા 'ઓનર્સ' અભ્યાસક્રમ માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કરાયો છે. 2026-27થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ચોથા વર્ષનો સેમેસ્ટર 7નો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા 'ઓનર્સ વિથ રિસર્ચ' અને 'ઓનર્સ' અભ્યાસક્રમ શરૂ કરવા ઈચ્છતી કોલેજો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. 'ઓનર્સ વિથ રિસર્ચ' માટે 68 કોલેજોએ અરજી કરી હતી. આ દરખાસ્તોની ચકાસણી કરતા જણાયું કે, દરેક વિષયમાં બે પીએચડી ગાઈડ હોવા ફરજિયાત છે. આ શરત મુજબ, 49 કોલેજો પીએચડી ગાઈડના અભાવે અપાત્ર ઠરી હતી. જ્યારે 19 કોલેજો 'ઓનર્સ વિથ રિસર્ચ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે પાત્રતા ધરાવે છે. આ પાત્ર કોલેજોમાં એલઆઈસી કમિટીઓ તપાસ માટે જશે અને તેમનો રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરશે. આ રિપોર્ટના આધારે, કોલેજોને સેમેસ્ટર સાત અને આઠનો અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, માત્ર 'ઓનર્સ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે 70 જેટલી કોલેજોએ યુનિવર્સિટીને દરખાસ્તો મોકલી છે. આ દરખાસ્તોની ચકાસણી હાલમાં ચાલી રહી છે, અને અન્ય કોલેજોની દરખાસ્તો પણ આવી રહી છે. ચકાસણી બાદ પાત્રતા ધરાવતી કોલેજોમાં એલઆઈસી કમિટી મોકલવામાં આવશે, તેમ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, હાલમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40Cને પાર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં તાપમાન 40થી 42C આસપાસ રહી શકે છે. રાજ્યના 4 શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે. તો સુરેન્દ્રનગર 41C સાથે બીજા ક્રમે રહ્યું છે. તો અમદાવાદમાં 40.4C અને અમરેલીમાં 40.3C મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. બે દિવસ ક્યાં વરસાદ પડશે?હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેમાં 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. જ્યારે 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસો કેવા રહેશે?આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજવાળું વાતાવરણ પરેશાન કરશે.
પાટણ નગરપાલિકા 32 કરોડના દેવામાં : કિરીટ પટેલ:ભાજપ શાસનમાં દેવું વધ્યું, વેરા બમણા કર્યાનો આક્ષેપ
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના ઉમેદવારો મહેન્દ્રભાઈ (મગનલાલ) પટેલ, ભૂમિકાબેન પ્રતીકભાઈ પટેલ, રામાજી શામતાજી ઠાકોર અને વર્ષાબેન ચંદનજી ઠાકોરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના શાસન પર આક્ષેપ કરતા જણાવ્યું કે નગરપાલિકા હાલ 32 કરોડ રૂપિયાના દેવામાં છે. ધારાસભ્ય કિરીટ પટેલે સભાને સંબોધતા કહ્યું કે પાટણ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ સમયગાળામાં નગરપાલિકાનું દેવું 32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ દેવું ભરપાઈ કરવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જનતા પર વેરાના દર બમણા કરવામાં આવ્યા છે. તેમણે ચૂંટણી પછી રાંધણ ગેસના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરી. શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થા અંગે બોલતા ધારાસભ્યએ જણાવ્યું કે પાટણ શહેરમાં ગટરો ઉભરાવાની અને રખડતા ઢોરોની ગંભીર સમસ્યાઓ પ્રવર્તી રહી છે. સરકારે પાટણને સ્વચ્છ નગરપાલિકાનો પ્રથમ નંબર આપ્યો છે તેની ટીકા કરતા તેમણે કહ્યું કે જો પાટણની આ સ્થિતિ હોય તો ગુજરાતની અન્ય નગરપાલિકાઓની સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણીમાંથી હટાવવા માટે 25 થી 30 લાખ રૂપિયાની ઓફર કરી હતી. કોંગ્રેસ સત્તામાં આવશે તો કરાનારા કાર્યો વિશે માહિતી આપતા કિરીટ પટેલે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં આગામી પાંચ વર્ષ સુધી વેરામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. શહેરમાં વાદ-વિવાદ મુક્ત શાસન આપીને માત્ર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પાટણ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ખાસ આયોજન કરાશે, જેમાં લારી-ગલ્લા ધારકો અને રિક્ષાચાલકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડીને તેમને પોલીસની કનડગતમાંથી મુક્તિ અપાશે. વોર્ડ નંબર 1 ના ઉમેદવારો વિશે વાત કરતા ધારાસભ્યએ કહ્યું કે મગનભાઈ, મહેન્દ્રભાઈ, બલાભાઈ અને ભૂમિકાબેન સક્ષમ અને સક્રિય પ્રતિનિધિઓ છે. તેમણે પાંચ વર્ષ સુધી ચાલતા આંતરિક ઝઘડાઓ અને ગાંધીનગરના ધક્કાઓમાંથી મુક્તિ મેળવવા માટે કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી. આ પ્રસંગે તેમણે પાટણને સુંદર, સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
મહેસાણા જિલ્લાની નાની કડી બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપના શિક્ષિત ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં આયોજિત જંગી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર નિશાન સાધતાં ચૂંટણી માહોલ ગરમાવી દીધો હતો. તેમણે કોંગ્રેસને 'કાગડો' કહીને સંબોધતાં સ્પષ્ટ કર્યું હતું કે, કડીમાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ભૂપેન્દ્ર પટેલનું 'યોગી મોડેલ' અને સુરક્ષાનો ભરોસો સભાને સંબોધતાં નીતિન પટેલે કાયદો અને વ્યવસ્થા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મૃદુ છે પણ હવે જરૂર પડ્યે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જેવા કડક પણ બની ગયા છે. ભાજપના શાસનમાં ગુંડા તત્વો અને લુખ્ખાઓની કોઈ જગ્યા નથી. જો કોઈ અસામાજિક તત્વ છેડતી કે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે, તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ તેને છોડશે નહીં. કોંગ્રેસની 'સાડી' અને 'પૈસા'ની રાજનીતિ પર પ્રહાર ચૂંટણીમાં મતદારોને લલચાવવાના પ્રયાસો અંગે ચેતવણી આપતાં નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો કે, મેં સાંભળ્યું છે કે, કોંગ્રેસવાળા સાડીઓ અને પૈસા વહેંચવાના છે. બહેનો ચેતી જજો! જો કોઈ આવી વસ્તુઓ વહેંચતા પકડાયું તો પોલીસને કડક સૂચના છે કે ગમે તેવો વગદાર માણસ હશે તો પણ તેને જેલ ભેગો કરવામાં આવશે. કોંગ્રેસ પાસે 'નો ગેરંટી', ભાજપ પાસે 'વિકાસ' નીતિન પટેલે વિકાસના મુદ્દે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, જેઓ હજુ સુધી રામલલાના દર્શને કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરદાર પટેલને વંદન કરવા ગયા નથી, તેમને દેશભક્તિની વાત કરવાનો કોઈ અધિકાર નથી. ભાજપના શાસનમાં કડીમાં થયેલી તેજીને કારણે ખેડૂતોની જે જમીન લાખોમાં હતી તે આજે કરોડોમાં પહોંચી છે. કડી નગરપાલિકાની 28 સીટ બિનહરીફ થવા બદલ તેમણે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, કડીમાં કોંગ્રેસનો 'ક' પણ બાકી રાખવાનો નથી. ‘વેવાઈ જોઈએ એમ ઉમેદવાર જુઓ’ મતદારોને અપીલ કરતા તેમણે સામાજિક ઉદાહરણ આપ્યું હતું કે, જેમ આપણે દીકરી પરણાવતી વખતે સામાવાળાનું ઘર અને સંસ્કાર જોઈએ છીએ, તેમ મત આપતી વખતે પણ ઉમેદવારની શિક્ષા અને સંસ્કાર જોવા જોઈએ. ભાજપે મયંક પટેલ જેવા શિક્ષિત અને સેવાભાવી યુવાનને મેદાનમાં ઉતાર્યા છે જેમના માટે જીત નિશ્ચિત છે. કડીની આ સભામાં નીતિન પટેલે કાર્યકર્તાઓમાં જોશ પૂરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે 'રમણભમણ' થઈ ગઈ છે અને દેશભક્તો માટે માત્ર ભાજપ જ વિકલ્પ છે. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને વિનોદ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં પાટણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારોની પેનલના સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે વિરોધ પક્ષો અને પક્ષદ્રોહીઓ સામે અત્યંત આકરા પ્રહારો કરી ચૂંટણી માહોલ ગજવ્યો હતો. ‘આખી પેનલ જીતાડો, નહીં તો પદ ભૂલી જાવ’ વોર્ડ નંબર 9ના ઉમેદવારો—ઇલેવન પટેલ, ડિમ્પલ પટેલ, નટવર પટણી અને ભુમિકા મોદીના પ્રચાર અર્થે સંબોધન કરતાં અજય બ્રહ્મભટ્ટે કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો વોર્ડમાં આખી પેનલ વિજેતા નહીં બને, તો તે વોર્ડના કોઈપણ સભ્યને નગરપાલિકામાં મુખ્ય હોદ્દો આપવામાં આવશે નહીં. જે કાર્યકર્તાઓ છૂપી રીતે અપક્ષ ઉમેદવારોને મદદ કરશે, તેમના માટે આગામી 5 વર્ષ સુધી પક્ષના દરવાજા બંધ કરી દેવામાં આવશે. ચૂંટાયા બાદ જો પ્રતિનિધિઓ ગટર, પાણી કે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ‘વિકાસ ન દેખાય તે ઘુવડ અને ચામાચીડિયા’ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતાં બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યની 750 બેઠક પર કોંગ્રેસે ફોર્મ પાછા ખેંચી લીધા છે, જે તેમની હારની કબૂલાત છે. તેમણે કોંગ્રેસી નેતાઓની સરખામણી 'ઘુવડ', 'ચામાચીડિયા' અને 'આંધળી ચાડકણ' સાથે કરતાં ઉમેર્યું કે, જેમ આ પ્રાણીઓને સૂર્યનો પ્રકાશ નથી દેખાતો, તેમ વિપક્ષને રાજ્યમાં થઈ રહેલો વિકાસ દેખાતો નથી. તેઓ માત્ર ભાગલા પાડવાનું અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું રાજકારણ રમી રહ્યા છે. વિકસિત ભારતનું લક્ષ્ય: ભક્તો વિરુદ્ધ અસુરોનો જંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને તેમણે પૌરાણિક કથા સાથે સાંકળ્યું હતું. તેમણે ગોવર્ધન પર્વતનું ઉદાહરણ આપતા કહ્યું કે, જેમ ગોવર્ધન પર્વતને ટેકો આપનારા ગોવાળો ભક્તો કહેવાયા, તેમ ભાજપને ટેકો આપી વિકાસમાં સહભાગી થનારા 'વિકાસના ભક્તો' છે. જેમ પર્વતને નીચે પાડવાની કોશિશ કરનારા અસુરો હતા, તેમ વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરનારા કોંગ્રેસ કે અપક્ષના સમર્થકો 'અસુરો' સમાન છે. અજય બ્રહ્મભટ્ટે પાટણના નાગરિકોને આહવાન કર્યું હતું કે, નગરપાલિકામાં 'પંજો' ન આવે તેની જવાબદારી જનતાની છે. ભાજપની આક્રમક રણનીતિ અને કડક શિસ્તના આદેશોએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને હવે પાલિકા-પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર જીત-હારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 39,349 ફોર્મમાંથી 11 હજારથી વધુ ફોર્મ રદ થયા છે અને 694 બેઠકો પર ભાજપ-વિપક્ષના ગણિત બાદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હવે બાકીની બેઠકો પર 25,568 ઉમેદવારો ભાવિ નક્કી કરવા મેદાનમાં છે. “વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે એવો વિજય અપાવો”ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહેસાણામાં ગર્જના કરી હતી. તેમણે કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું હતું કે, આ વખતે ભાજપનો વિજય એટલો ભવ્ય હોવો જોઈએ કે ભવિષ્યમાં વિપક્ષોને ચૂંટણી લડતા પહેલા સો વાર વિચાર કરવો પડે. સીએમના આ નિવેદનથી ભાજપ છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષે તેને અહંકાર ગણાવ્યો છે. લોકશાહીના પર્વ પર ‘લાંછન’?ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બિનહરીફ થવાની લ્હાયમાં અનેક જગ્યાએ સામા પક્ષના ઉમેદવારોને લોભ-લાલચ આપવા, ડરાવવા કે ધમકાવવાના કિસ્સાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સત્તા મેળવવા માટે જે રીતે નીતિ-નિયમો નેવે મૂકાયા છે, તે ગુજરાતની રાજકીય અસ્મિતા માટે ચિંતાજનક છે. સુરત અને વડોદરામાં ‘રાજકીય ગરમાવો’કાનાણીનો AAP પર કટાક્ષ: સુરતના કદાવર નેતા કુમાર કાનાણીએ ‘આપ’ પર પ્રહાર કરતા કહ્યું કે, “સત્તા તો મળવાની નથી, એટલે આ લોકો વરાછામાં તાજમહેલ બાંધવાના વાયદા પણ કરી શકે છે!” ભાજપ ઉમેદવારને જનતાએ તતડાવ્યા: કતારગામ વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને સ્થાનિક મતદારે ગેરકાયદે બાંધકામ અને ડિમોલિશન મુદ્દે જાહેરમાં સવાલ પૂછીને ભીંસમાં લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આર્મીમેનની આંખમાં આંસુ: વડોદરામાં વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર પૂર્વ સૈનિકને ટિકિટ ન મળતા તેઓ કેમેરા સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા, જે ઘટનાએ કાર્યકરોમાં સોપો પાડી દીધો હતો. હવે જ્યારે પ્રચારના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે જનતા વાયદાઓ પર ભરોસો મૂકે છે કે પછી કામના આધારે મતદાન કરે છે. આગામી દિવસોમાં સોશિયલ મીડિયા અને જનસભાઓ દ્વારા આ જંગ વધુ તેજ બનશે.
સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી
Women Reservation Bill : ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. તાત્કાલિક લાભ કેમ નહીં? કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તરત મળી શકશે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકન (Delimitation) ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે.
શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 14 એપ્રિલની રાત્રે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ગુજરાતની પ્રતિષ્ઠીત અને સૌથી જૂની LD એન્જિ. કોલેજની હોસ્ટેલમાં આ ઘટના બનતા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા છે. આ અંગે અમે એલડી કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓએ શું શું જવાબ આપ્યા તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
પોલીસ એક્શન મોડમાં:મોરબીમાંથી 1100 હથિયારો કબજે, 1627ની અટકાયત
મોરબી મનપા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ એક્શનમાં આવી અસામાજિક પ્રવૃતિઓ કડક હાથે ડામી દેવા ધડાધડ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા તો પોલીસે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમ ચૂંટણીઓ યોજાઈ તે માટે તમામ હથિયારો કબ્જે લઈ ગુનાહિત માનસિકતા ધરાવતા તમામ આરોપીઓ સામે પાસા સહિતનો કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1100 જેટલા હથિયારો પોલીસ પાસે જમા કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં લાંબા સમયથી નાસતા ફરતા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે 450 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ 1627 શખ્સો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે, . જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી માટે પ્રોહિબિશન એક્ટ હેઠળ 200 જેટલા કેસ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લામાંથી 30 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે અને 10 જેટલા માથાભારે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી:મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા ચાર શખ્સને ઝડપી લેવામાં આવ્યા
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે શહેરના શનાળા રોડ પર આવેલા લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલી “શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ” નામની ઓફિસમાં IPL મેચ પર રમાતા ક્રિકેટના સટ્ટા ઉપર દરોડો પાડ્યો હતો. આ ઓફિસમાં મુખ્ય આરોપી હાર્દિક રંગપરીયા બહારથી લોકોને બોલાવી IPL-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાનું ખુલતા પોલીસે આ ક્રિકેટનો સટ્ટો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ચાર વ્યક્તિ આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો-જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જેમાં મુખ્ય આરોપી હાર્દિકભાઈ પ્રવીણભાઈ રંગપરીયા (રવાપર બોની પાર્ક, ઓમ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 502, મોરબી), હાર્દિકભાઈ બાબુભાઈ રૂપાલા (નાની વાવડી, ઓમ પાર્ક, મોરબી), ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવિયા (ઉમિયા સર્કલ નજીક, તપોવન રેસીડેન્સી, બ્લોક નં. 303, મોરબી) અને વિશાલ દેવદાનભાઈ ડાંગર (રવાપર, મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસે તેમના પાસેથી રૂપિયા 7,500 રોકડ તેમજ કુલ રૂપિયા 3 લાખની કિંમતના 5 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,07,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન ઉત્તમભાઈ રમેશભાઈ કાવર નામના અન્ય એક વ્યક્તિનો પણ સમાવેશ થતો હોવાનું સામે આવ્યું હતું.
સિરામિક ફેકટરીઓ માટે સારા સમાચાર:સિરામિક માટે જરૂરી ગુજરાત ગેસના નવા ભાવ ટૂંક સમયમાં જાહેર થશે
અમેરિકા ઈરાન યુદ્ધને પગલે મધ્ય પૂર્વના દેશમાંથી આવતા નેચરલ ગેસના પુરવઠાની આવક સદંતર બંધ થઇ જતા મોરબીના સિરામિક ઉદ્યોગને મસમોટો માર પડ્યો હતો. પ્રોપેન ગેસનો 100 ટકા જથ્થો જયારે ગુજરાત ગેસ લીમીટેડ તરફથી મળતા નેચરલ ગેસના જથ્થામાં કપાત અને ભાવ વધારાના કારણે સિરામિકના 90 ટકા યુનિટ ઠપ્પ થઈ ગયા હતા. જો કે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ગુજરાત ગેસ તાજેતરમાં ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ થઇ રહ્યો હોવાનું અને ભાવ અંગે પણ યોગ્ય નિર્ણય લેવા અંગે જાહેરાત બાદ હવે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા અને ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સિરામિક ઉદ્યોગને ફરીથી ગતિમાં લાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની અનિશ્ચિતતા હોવા છતાં ઉદ્યોગોને પરવડે તેવા દરે ગેસ સપ્લાય પૂરો પાડવા બાબતે સહમતિ નોંધાઈ હતી. આ પગલાંથી સિરામિક એકમોને ફરી શરૂ કરવામાં સહાય મળશે અને રોજગારીમાં પણ સ્થિરતા આવશે. મોરબીને વિશ્વના અગ્રણી સિરામિક ટાઇલ્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંનો ઉદ્યોગ દેશના કુલ સિરામિક ટાઇલ્સ અને સેનિટરીવેર ઉત્પાદનમાં આશરે 90 ટકા યોગદાન આપે છે. ઉદ્યોગનો વાર્ષિક ટર્નઓવર અંદાજે 75 હજાર કરોડ રૂપિયા જેટલો છે અને તે સીધા તથા અપ્રત્યક્ષ રીતે ચાર લાખથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે. મોરબીના 90 ટકાથી વધુ સિરામિક કારખાનાઓને ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિએ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને હજારો મજૂરો પણ અસરગ્રસ્ત બન્યા હતા.
માર્ચ મહિના અને એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કમોસમી વરસાદ તેમજ વાદળછાયાં વાતાવરણને પગલે થોડો સમય ગરમીથી રાહત મળ્યા બાદ હવે ઉનાળાના આકરા મિજાજનો અનુભવ થવા લાગ્યો છે. સવારથી સૂર્ય નારાયણના તાપની અસર જોવા મળી રહી છે અને બપોર સુધીમાં આકરી ગરમીમાં પરિણમી રહી છે. મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગરમીના જોરમાં ઝડપથી ઉછાળો આવ્યો છે અને મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ જયારે ન્યુનત્તમ તાપમાન 22 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઇ રહ્યું છે. હાલ આકરી ગરમીને પગલે હીટ વેવ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે જેના કારણે બપોર સમયે લૂ ફૂંકાઇ રહી છે. મોરબી શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી ઊંચકાયો હતો જેના કારણે બપોરના સમયે રસ્તા પર હવે કર્ફ્યું જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જો કે આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવતા રાજકીય પક્ષની પણ ચિંતા વધી છે. સવારે બે થી ત્રણ કલાક સુધી ડોર ટુ ડોર ફરનારા ઉમેદવારો તડકો તપતા બપોરના સમયે પ્રચાર કરવાથી બચી રહ્યા છે અને આ સમયે ડિજિટલ પ્રચાર પ્રસાર તરફ વળ્યા છે, તો મોડી રાત્રી સુધી જાહેર સ્થળ કે સોસાયટીઓમાં બેઠક અથવા નાની મોટી સભા કરી મતદારોને રીઝવવા મથી રહ્યા છે. ઉમેદવારો મતદારોને લાવવા, લઇ જવા વાહનની વ્યવસ્થા કરવા તૈયાર આવી આકરી ગરમીમાં 26 એપ્રિલના રોજ થનારા મતદાનમાં પણ ઉમેદવારોને ઓછાં મતદાનની ચિંતા સતાવી રહી છે, ત્યારે હાલ મતદાનના દિવસે ઉમેદવારો દ્વારા વહેલી સવારથી બપોર સુધીમાં અને મતદાનના અંતિમ બે થી ત્રણ કલાક દરમિયાન વધુ ને વધુ મતદાન કરવવા તૈયારી કરી રહ્યા છે . વધુ મતદાન માટે ઉમેદવારો પોતાના ખર્ચે વાહન વિસ્તાર સુધી લેવા મૂકવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે, ખાસ કરીને રીક્ષા પેસેન્જર વાહનની શોધખોળ ચાલી રહી છે. મનપાએ હીટવેવથી કેમ બચવું તેની માર્ગદર્શિકા જાહેર કરી વધતી ગરમીના કારણે સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોક લાગવા, ઉબકા ઉલટી કે ડાયેરિયા થવાની શક્યતાને ધ્યાને લઇ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તમામ મુખ્ય માર્ગો પર બેનર, કિઓસ્ક થકી લોકોને ગરમીથી કેમ બચવું તેની સલાહ સૂચન આપવામાં આવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી:કલેક્ટર અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે હેતુથી આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી તથા વિભાગીય પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે હાથ ધરવા અને આચારસંહિતાની ચુસ્ત અમલવારીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે ઉપસ્થિત અધિકારીઓને સ્ટ્રોંગરૂમ અને ઈવીએમની સલામતી અંગે જરૂરી પગલાં લેવા તાકીદ કરી હતી. ગત ચૂંટણીઓમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા વિસ્તારોમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ હાથ ધરવા, મતદાનના દિવસે બૂથવાઈઝ પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવા અને સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ મતદાન મથકો અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વિભાગને કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સૂચનાઓ આપી છે. જે અંતર્ગત પોલીસ સ્ટેશનવાર સઘન પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ યોજવા જણાવાયું છે. સાથે જ, હથિયાર જમા લેવાની કામગીરી, ભૂતકાળમાં થયેલા ચૂંટણીલક્ષી ગુનાઓ અને ગુનેગારોની માહિતી એકત્ર કરવા તેમજ તડીપાર અને જામીન અંગેની કાર્યવાહી કરવા સૂચના આપી છે. ચૂંટણીલક્ષી ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવા પણ જણાવાયું છે.
વઢવાણના વસ્તડી ગામ પાસે ભોગાવો નદીના પુલ 1000 દિવસ પહેલા ધરાશાયી થયો હતો. આથી રૂપિયા 15 કરોડના ખર્ચે નવો મંજૂર કરાયો છે પરંતુ 1000 દિવસ પછી ‘ચા ચૂડી ઘડાવું છું જા કાબર બેન આવું છું’નો ઘાટ સર્જાયો છે. આથી હજારો લોકોને 2 કિમીનો ફેરો ફેરવો પડે છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામે આવેલા પુલ પરથી 15થી વધુ ગામોના લોકો સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ અવર જવર કરવા માટે મહત્વનો પુલ છે. આ 2023માં પસાર થતા ડમ્પરનો ભાર સહન ન કરી શકતા ધરાશાયી થયો હતો. ત્યારે આ પુલ પરથી પસાર થતા 15 ગામોના હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં હાલ પુલ પાસે ભોગાવો આપવામાં આવેલું ડાયવર્ઝન પણ કાચુ પાકુ બન્યું હોવાથી જો ભોગાવો નદીમાં પાણી આવે તો ચુડા વઢવાણ તાલુકાના 15 ગામોના લોકો જિલ્લા સાથે સંપર્ક વિહોણા થઇ જાય છે. આ અંગે વસ્તડી ગામના નરેન્દ્રસિંહ ગોહિલ, કૃપાલસિંહ વગેરેએ જણાવ્યું કે વસ્તડી ગામનો પુલ તૂટી ગયા બાદ મહિનાઓ સુધી જેમને તેમ સ્થિતિમાં હતો અને લોકોને પાસેથી બનાવાયેલા માર્ગમાંથી પસાર થવું પડી રહ્યું હતું. ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા અને આગેવાઓ આ પુલની મુલાકાત લઇ તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી પુલ બનાવવા ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. આથી માર્ગ મકાન વિભાગ દ્વારા આ સ્થળે તૂટેલા પુલની સ્થિતિ અંગે તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવી હતી. જેના રિપોર્ટમાં નવો પુલ બનાવવા માટે જણાવાતા વસ્તડીનો નવો પુલ બનાવવા મંજૂરી અપાઇ હતી. ભોગાવો નદીમાં પાણી હોવાને કારણે કામગીરી પર અસરઆ પુલ વડોદ ડેમ પાસે આવેલો છે. આથી ભોગાવો નદીમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે કામગીરી પર અસર થાય છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી રાખવાની માંગ હોય છે આથી પુલની કામગીરી ઝડપી કરવામાં મુશ્કેલી પડે છે. - વિજયભાઈ સોલંકી, નાયબ ઈજનેર
કલેકટરે દ્વારા નિરીક્ષણ:મોડાસા કલેક્ટર કચેરીમાં 213 વસ્તુઓનો ઈ- વેસ્ટ નિકાલ
અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જુદી જુદી શાખાઓમાં રહેલા જૂના અને બિનઉપયોગી થઈ ગયેલા 213 ઇલેક્ટ્રોનિક્સ સાધન સામગ્રીનો ઈ-વેસ્ટ વસ્તુઓનો નિકાલ કરાયો હતો. કલેક્ટર કચેરી અરવલ્લીની વિવિધ શાખાઓમાં વપરાતી જૂની કોમ્પ્યુટર, કોમ્પ્યુટર પેરીફેરલ્સ તથા ઈલેક્ટ્રોનિક્સ સાધન સામગ્રીની કુલ 213 વસ્તુઓનો નિકાલ કરાયો છે. આ વસ્તુઓ નિયત આયુષ્ય મર્યાદા વટાવી ગયેલી વપરાશી અને રિપેર નહીં થઈ શકે તેવી કાર્યક્ષમતા ગુમાવેલી હતી. જેને રાઇટ ઓફ કરવા પાત્ર હતી. તેનો નિકાલ ઈ-વેસ્ટ નિકાલ માર્ગદર્શિકા અનુસાર કરાયો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની 30, 8 તાલુકા પંચાયતની 146 તેમજ મોડાસા અને બાયડ બે નગરપાલિકાની કુલ 60 બેઠકો સહિત જિલ્લાની કુલ 236 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. ધનસુરા શામળાજી અને મેઘરજ તાલુકા પંચાયતની તેમજ બાયડ નગરપાલિકાની અમુક બેઠકો બિરહરીફ થઈ જિલ્લામાં ઉપરોક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 586 કોંગ્રેસ ભાજપ અને આપ તેમજ અપક્ષના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જ્યારે મોડાસા પાલિકાના લઘુમતી વિસ્તારની 9 બેઠકો પર ભાજપે ચૂંટણી લડવામાં પાછી પાની કરી છે. મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ ભિલોડા શામળાજી અને સાઠંબા તા.પં.ની કુલ 146 બેઠકો ઉપર 401 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો ઉપર 57 ઉમેદવારો, શામળાજી તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર 53 ઉમેદવારો, મેઘરજ તાલુકા પંચાયતની 21 બેઠકો ઉપર 65 ઉમેદવારો, બાયડ તાલુકા પંચાયતની 18 બેઠકો ઉપર 40 ઉમેદવારો, ભિલોડા તાલુકા પંચાયતની 20 બેઠકો ઉપર 69 ઉમેદવારો, ધનસુરા તાલુકા પંચાયતની બેઠકો ઉપર 31 અને સાઠંબા તા.પં.ની 16 બેઠકો 38 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મોડાસા પાલિકામાં 89 ઉમેદવારો વચ્ચે જંગ મોડાસા નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો ઉપર ભાજપે 27 ઉમેદવારો અને કોંગ્રેસે તમામ બેઠકો ઉપર 36 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે ભાજપે લઘુમતી મતવિસ્તારમાં 9 બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી નથી. મોડાસા પાલિકામાં ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ સહિત કુલ 89 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. બાયડ પાલિકાના 24 વોર્ડમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપના 6 કોંગ્રેસના ત્રણ અને આપના 7 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ચૂંટણીમાં જામશે રસાકસી:સાબરકાંઠા જિલ્લા પંચાયતની 8 બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
સાબરકાંઠા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને ઉમેદવારીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની કુલ 34 બેઠકો પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, તો કેટલાક સ્થળોએ અપક્ષ અને અન્ય પક્ષોએ પણ ઝંપલાવ્યું છે. 8 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપે તમામ 34 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારીને મજબૂત દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસે પણ તમામ 34 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જિલ્લામાં આપનો પ્રભાવ વધ્યો હોય તેમ જણાય છે. કુલ 34 બેઠકોમાંથી 26 બેઠકો પર આપના ઉમેદવારો મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય આદિજાતિ પાર્ટી (BTP/ભાઆપ): 6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 4 બેઠકો પર અપક્ષો નસીબ અજમાવી રહ્યા છે. ABP અને કોમા 1 - 1 બેઠક પર પ્રતિનિધિત્વ ધરાવે છે. સૌથી વધુ ઉમેદવારો ધરાવતી બેઠકજિલ્લાની બે બેઠકો એવી છે જ્યાં સૌથી વધુ રસાકસી જોવા મળશે. બેઠક નં. 17 કણાદર અને બેઠક નં. 22 લક્ષ્મીપુરા પર સૌથી વધુ 5 - 5 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. અહીં મુખ્ય પક્ષો ઉપરાંત અપક્ષ અને અન્ય નાના પક્ષોના કારણે મતોનું વિભાજન થવાની શક્યતા છે.
પોલીસની સરાહનીય કામગીરી:પરિવારથી વિખૂટા પડેલા દિવ્યાંગનું પુન: મિલન
મોડાસાના સાલમપુરના માનસિક દિવ્યાંગ મુકેશભાઈ રમેશભાઈ બજાણીયા છેલ્લા છ માસથી ગુમ થયા હતા. જે ગાંભોઈ પોલીસ સ્ટેશનને સૂરજપુરા ગામમાંથી મળતાં તેને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરમાં લવાયો હતો. માનસિક દિવ્યાંગનુ કાઉન્સેલિંગ કરતાં નામ સરનામું જણાવતા પરિવારનો સંપર્ક કરાયો હતો. છ માસથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ દીકરો મળી જતાં પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. સંસ્થા દ્વારા ગુમ માનસિક દિવ્યાંગોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવાની આ 74 મી ઘટના છે. અત્યારે સુધી 20 માનસિક દિવ્યાંગ મહિલાઓને સંસ્થા દ્વારા પુનર્વસન કરાયું છે.
ખાડારાજથી લોકો પરેશાન:મોડાસામાં મેઘરજ રોડ પર રસ્તા પર પડેલા ગાબડાંની મરામત કરો
મોડાસા શહેરમાં રસ્તાઓની બિસમાર હાલત હવે જનતા માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા મોડાસા ચાર રસ્તાથી મેઘરજ રોડ તરફ વળતાં મુખ્ય માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડામરના પડ ઉખડી ગયા છે અને કપચીઓ બહાર આવી ગઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અહીંથી પસાર થતાં વાહનચાલકોને એવું લાગે છે કે તેઓ પાકા રસ્તા પર નહીં પણ કોઈ ઉબડ-ખાબડ કાચા માર્ગ પર મુસાફરી કરી રહ્યા હોય. વળાંક લેતી વખતે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ જવાની ઘટનાઓ પણ અવારનવાર બની રહી હોવાની બૂમ ઉઠી છે. સ્થાનિક રહીશો અને દરરોજ અવરજવર કરતાં લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આટલા મહત્વના જંકશન પર ખાડાઓ હોવા છતાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ કે નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. માત્ર થીંગડા મારવાની કામગીરી કરવાને બદલે ગુણવત્તાયુક્ત નવો રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
માલપુરમાંથી ફરાર ચાર આરોપીઓ પકડાયા:માલપુરમાંથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટના ગુનાના 4 આરોપી પકડાયા
અરવલ્લી જિલ્લામાં આગામી ચૂંટણીઓને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે માલપુર પોલીસ સ્ટેશનના જુદી જુદી કલમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા 4 આરોપીઓને માલપુર ત્રણ રસ્તા પાસેથી જિલ્લાની સ્કવોડ ટીમ નં 3 અને 4ની ટીમે ઝડપી પાડ્યા હતા. જિલ્લા નાસતા ફરતા સ્કવોડ ટીમ નં3-4ના ઇન્ચાર્જ જે કે જેતાવત પીએસઆઇ બાયડની સૂચનાના ભાગરૂપે સ્ટાફ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે માલપુર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ-3 ના ગુનામાં છેલ્લા દોઢ વર્ષના સમયથી નાસતા ફરતા આરોપીઓ પ્રકાશભાઈ જગાભાઈ ખાંટ, વિજયભાઈ રામાભાઈ ઉર્ફે કોદરજી ખાંટ, પ્રવીણભાઈ જગાભાઈ ખાંટ અને જયકર ભાઈ ઉર્ફે જાકીરભાઈ શિવાભાઈ ખાંટ તમામ રહે. નાથાવાસ તા.માલપુર જિ.અરવલ્લી માલપુર ત્રણ રસ્તા ઉપર ઉભા હોવાની માહિતીના આધારે પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી માલપુર પોલીસને સોંપ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના અમલીકરણ અંતગર્ત 4 વર્ષના સ્નાતક અભ્યાસનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે.આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 થી 19 જેટલી કોલેજોમાં ''ઓનર્સ વિથ રિસર્ચ'' એટલે કે ચાર વર્ષનો નવો સ્નાતક અભ્યાસક્રમ શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં જે કોલેજો દ્વારા ત્રણ વર્ષના સામાન્ય સ્નાતક અભ્યાસક્રમની સાથે હવે ઓનર્સ વિથ રિસર્ચ'' 4 વર્ષના અભ્યાસક્રમ શરૂ કરવા માટે કોલેજો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે ઉત્તર ગુજરાતની કુલ 68 કોલેજોએ ઉત્સાહ દાખવી દરખાસ્ત કરી હતી. જોકે અભ્યાસ શરૂ કરવા માટે જરૂરી શૈક્ષણિક માપદંડો, સંશોધન માટેની સુવિધાઓ અને નિષ્ણાત ફેકલ્ટીની ચકાસણી કરતા માત્ર 19 કોલેજો જ પ્રાથમિક તબક્કે પાત્રતા ધરાવતી માલૂમ પડી છે. આ પાત્ર ઠરેલી કોલેજોમાં હવે LIC (Local Inquiry Committee) દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને અંતિમ મંજૂરી આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ચાર વર્ષનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં સ્નાતક પૂર્ણ કરવા માંગતા હોય તેઓ તેમ કરી શકશે, પરંતુ જેમને સંશોધન ક્ષેત્રે આગળ વધવું છે અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું છે, તેમના માટે આ ચોથું વર્ષ વરદાનરૂપ સાબિત થશે. બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા આ માટેના નવા અભ્યાસક્રમો પણ તૈયાર કરી મંજૂર કરી દેવામાં આવ્યા છે. છાત્રો ગ્રાઉન્ડ લેવલ પર સંશોધન કરતા થશે : કુલપતિઆ અંગે કુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પદવી આપવાનો જ નહીં પણ તેમને આધુનિક યુગના પડકારો માટે તૈયાર કરવાનો છે. ઓનર્સ વિથ રિસર્ચ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલ પર સંશોધન કરતા શીખશે. જે તેમને ભવિષ્યમાં સીધા જ પીએચ.ડી. કે આંતરરાષ્ટ્રીય સ્તરની તકો મેળવવામાં મદદરૂપ થશે. અમે ગુણવત્તા જાળવવા માટે જ ખૂબ ઓછી કોલેજોને હાલ મંજૂરી આપી રહ્યા છીએ.આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ઉચ્ચ શિક્ષણના સ્તરમાં મોટો સુધારો આવશે.
ભાષાશુદ્ધિ પર સવાલો ઊભા થયા:બનાસકાંઠામાં ધો-8ના ગુજરાતી પ્રશ્નપત્રમાં 4 શબ્દો ખોટા છપાયા
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાના ગુજરાતી પ્રશ્નપત્રમાં ભાષાકીય ભૂલો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રશ્નપત્રમાં જયંતિના સ્થાને જયંતી, પુસ્તકપ્રેમીના બદલે પુસ્તક પ્રેમી અને લહાવોના બદલે લ્હાવો જેવા શબ્દો ખોટી રીતે છપાતા શિક્ષણ વિભાગની ભાષાશુદ્ધિ પર સવાલો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન ફરી એક વાર ધોરણ-8ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ગંભીર ભાષાકીય ભૂલો જોવા મળી હતી. પ્રશ્નપત્રમાં પ્રશ્ન એકના પેટા પ્રશ્ન બમાં પોસ્ટર આધારિત પ્રશ્નમાં એક-બે નહીં પરંતુ 4 જોડણીની ભૂલો જોવા મળતા પેપર સેટરની બેદરકારી સામે આવી છે. પ્રશ્ન-1ના પેટા વિભાગ બમાં આપેલા પોસ્ટરમાં અનેક ખામીઓ રહી ગઈ હતી. તેમાં લ્હાવો શબ્દ લખાયો હતો, જ્યારે સાચી જોડણી લહાવો થાય છે. તે જ રીતે પુસ્તક પ્રેમી અલગ લખાયું હતું, જ્યારે યોગ્ય શબ્દ પુસ્તકપ્રેમી છે. ઉપરાંત જન્મજયંતિ શબ્દમાં પણ ભાષાકીય ક્ષતિ જોવા મળી હતી. યોગ્ય રીતે જયંતી અથવા જન્મજયંતી લખાવું જોઈએ. સાથે જ પુસ્તક મેળો અલગ લખાયો હતો, જ્યારે સાચો શબ્દ પુસ્તકમેળો છે.
શાસક પક્ષ બનવા ચૂંટણીમાં ઉમેદવારો સુનિશ્ચિત કરવા આર્થિક સદ્ધરતા મહત્વનું પરિબળ બની ગયું હોય તેમ હિંમતનગર પાલિકાના ભાજપના 42 પૈકી 16 ઉમેદવારો 1 કરોડથી માંડી 52 કરોડ સુધીની સ્થાવર જંગમ મિલકતો ધરાવતા ગર્ભશ્રીમંત હોવાનું ખૂલ્યું છે. તેમની સામે રોજેરોજ કમાઈને ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. જેમણે લગભગ એકસરખી 25 હજાર રોકડ, 1 તોલો સોનું અને 5 તોલા ચાંદીની વિગતો દર્શાવી છે. ભાજપમાં પણ ઉચ્ચ અભ્યાસ કરનાર યુવતીએ પોતાની પાસે 15 હજાર રોકડ દર્શાવી છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોએ રજૂ કરેલા એફિડેવિટમાં 44 ઉમેદવારોએ ધો-6 થી ધો-12 સુધીનો અભ્યાસ કર્યાનું જાહેર કર્યું છે. જ્યારે 26 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. હિંમતનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠક પૈકી 3 બેઠક બિનહરીફ થઈ ગયા બાદ 41 બેઠક માટે 82 ઉમેદવાર મેદાનમાં છે. તે પૈકી કોંગ્રેસના 3 ઉમેદવારોએ બબ્બે ત્રણ-ત્રણ વોર્ડમાં ઉમેદવારી કરી છે. 82 ઉમેદવારોમાં ડોક્ટર, એન્જિનિયર, કાયદા નિષ્ણાંત, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારોની સાથે ધો-6 થી ધો-12 સુધીના અભ્યાસવાળા ઉમેદવારો પણ છે. વોર્ડ નં-7 માં ઉમેદવારી કરનાર નટવરલાલ મણીલાલ શાહે MBBS PGQM AHO થયેલા છે. તો લો માં પીએચડી કરનાર મહિલા અને જરનાલીઝમમાં માસ્ટર ડિગ્રી મેળવનાર ઉમેદવાર પણ છે. 12 ઉમેદવારોએ પ્રાથમિક મળી કુલ 44 ઉમેદવારો માધ્યમિક શિક્ષણથી આગળ વધી શક્યા નથી. એ જ રીતે સંપત્તિમાં પણ પ્રથમ 10 ક્રમે આવતાં ઉમેદવારોમાં ભાજપના 8 અને કોંગ્રેસના 2 ઉમેદવાર છે. વોર્ડ-1 ના ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ 52 કરોડના આસામી છે તો તેમના જ પક્ષના ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રિયંકાબેન સલાટ પાસે 15000 રોકડ છે. ભાજપના વોર્ડ-6 માં ઉમેદવારી કરનાર હિતેશભાઈ પટેલ પણ 34 કરોડના આસામી છે. સૌથી વધુ લોન 7.81 કરોડ હિતેશ પટેલના નામે છે. વોર્ડ-1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ ગન લાયસન્સ પણ ધરાવે છે. શેર ડિબેન્ચર્સ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રોકાણ 14 કરોડ જેટલું અમૃતભાઈ પુરોહિત કરેલું છે. 82 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારોએ પોતાના મકાન હોવાનું જાહેર કર્યું નથી. કરોડપતિ ઉમેદવારો ઉચ્ચ શિક્ષણ ઓછો અભ્યાસ બાકી લોન/ ઓવરડ્રાફ્ટ આર્થિક સામાન્ય
યુવક માછીમારી કરવા જતાં મોતને ભેટ્યો:હિંમતનગરના હાથરોલ ગામનો યુવાન તળાવમાં ડૂબી જતાં મોત
હિંમતનગરના હાથરોલના તળાવમાં માછીમારી કરવા ગયેલા 25 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ બનાવના બીજા દિવસે મિત્રો દ્વારા પરિવારને કરાઇ હતી. મળતી માહિતી મુજબ, હાથરોલ ગામનો વતની અમ્રતભાઈ પોપટભાઈ મકવાણા (25) તેના ત્રણ અન્ય મિત્રો સાથે ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. માછીમારી દરમિયાન અચાનક અમ્રતભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથે રહેલા મિત્રો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે આ ગંભીર બનાવની જાણ પરિવારને કરાઇ ન હતી. આ ઘટના બની તેના બીજા દિવસે મિત્રો દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને સમગ્ર મામલે જાણ કરાઇ હતી. દીકરાના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તાત્કાલિક સ્થાનિક તંત્ર અને ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરાઇ હતી. હિંમતનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ યુવાનની લાશને બહાર કાઢી હતી. ગાંભોઈ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે રૂપાલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માછીમારી કરવા ગયેલા આશાસ્પદ યુવાનના મોતથી હાથરોલ ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે મિત્રોએ મોડી જાણ કેમ કરી તે બાબત પણ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
આબુ રોડના વૃદ્ધનું કરુણ મોત:રસ્તો ઓળંગતાં વૃદ્ધનું વાહનની ટક્કરે મોત
પાલનપુર તાલુકાના ચંડીસર નજીકદીકરીના ઘરે જવા માટે આવેલા વૃદ્ધરસ્તો ઓળંગી રહ્યાહતા. ત્યારે અજાણ્યાવાહને ટક્કર મારતાતેમનું મોત નીપજ્યુંહતું. અકસ્માત બાદવાહન ચાલક ફરારથઈ ગયો હતો, ગઢપોલીસે અજાણ્યા વાહન ચાલક સામેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાજસ્થાનના સિરોહી જિલ્લાનાઉમરની અખરાભઠ્ઠા ગામના 56 વર્ષીયમંગલારામ બદાજી માજીરાણા પોતાનીદીકરી મીરાબેનના ઘરે જવા માટે ચંડીસરઆવ્યા હતા. રવિવારની રાત્રિના સમયેતેઓ દીપ હોટલ પાસે હાઈવે પરથી રસ્તોઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યાવાહન ચાલકે પૂરઝડપે અને ગફલતભરીરીતે વાહન હંકારી તેમને જોરદાર ટક્કરમારી હતી. અકસ્માત સર્જી વાહન ચાલકઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયોહતો.અકસ્માત બાદ લોહીલુહાણહાલતમાં 108 મારફતે પાલનપુર સિવિલમાં સારવાર સારવાર દરમિયાન તેમનુંમોત નિપજ્યું હતું.
ભગવાનના દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળ બિછાવી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ ચલાવતું રિઢા દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શેખ દંપતી રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા એલસીબીએ ભગવાનના દર્શન કરાવીશું કહી વૃદ્ધ મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતી શેખ દંપતીની ટોળકીના પતિ ઈકબાલ કમરૂદ્દીન શેખને પાલનપુરમાંથી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પત્ની સલમા ઉર્ફે સલીમા ઈકબાલ શેખ હજુ ફરાર છે. આ દંપતી ધાર્મિક સ્થળો પાસે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતું હતું. કોઈ દંપતીને સંતાન થયાનું કહીં વિશ્વાસમાં લઈ દાગીના રૂમાલમાં મૂકાવી 100 ડગલાં નીચું જોઈ ચાલશો તો ભગવાનના દર્શન થશે કહી મહિલાઓને ભોળવતા અને દાગીના લઈને ફરાર થઈ જતા હતા. થોડા દિવસ પહેલાં પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં ઉષાબેન ઓઝા પાસેથી રૂ.1.38 લાખના 5 તોલા જેટલા સોનાના દાગીના આ જ રીતે લૂંટાયા હતા. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સોનાના દાગીના, બાઇક અને મોબાઇલ સહિત રૂ.5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટોળકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઈકબાલ શેખની 20થી વધુ ગુનામાં સંડોવણીઈકબાલ કમરૂદ્દીન શેખ સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ગોધરા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, કલોલ, રાજૂલા સહિતના પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ છેતરપિંડી, ચોરી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયા છે. તાજેતરમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડી ગુનો નોંધાયો હતો. વર્ષ 2023માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. મહારાષ્ટ્રના મલાડ અને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યુ હતું.
કાણોદરની ફેક્ટરીમાં આગ:સારવાર દરમિયાન બેના મોત, એક ગંભીર
પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર ગામમાં આવેલી વિદેશમાં સપ્લાય કરવા માટે પ્રોટીન પાવડર બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં 3 અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બેના મોત નિપજયા છે. જેમાં 24 વર્ષીય વિવેકકુમાર વિન્દેશ્વર રામદાસ અને 21 વર્ષીય રવિતા ઉર્ફે અંજલિકુમારી ઉમા પાસવાનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુરુવાર વહેલી સવારે મોત નિપજ્યું હતું.જ્યારે 20 વર્ષીય રાજાકુમાર લાલનરામ દાસની હાલત પણ ગંભીર છે. જેના બચવાના ચાન્સ માત્ર 10 ટકા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ફેક્ટરીમાં પંચનામાની કાર્યવાહી કરી હતી.આ પૂર્વે મોડી રાત્રે જુદા જુદા વિભાગના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બુધવારે સાંજે આદર્શ પ્રોટીન પાવડર નામની કંપનીમાં મોટી માત્રામાં પ્રોટીન પાવડરની જુદી જુદી બેગ સ્ટીલની ચેનલ પરથી જથ્થામાં ગોઠવવા આગળ મોકલાઈ રહી હતી. ત્યારે અચાનકજ સ્પાર્ક થતા પ્રોટીન પાવડરની બેગો જ્યાં જ્યાં પડી હતી તેમાં તુરંત આગ લાગી હતી. કંપનીના સ્ટાફે જણાવ્યું કે જેવી આગ લાગી કે તુરંત અમારી ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી. જુદી જુદી ફાયરની બોટલથી આગ પર કાબુ મેળવી લીધો હતો. અને ઘાયલોને તુરંત સારવાર માટે ખસેડ્યા હતા.દરમિયાન ગંભીર રીતે દાઝી જતા સિવિલમાં લાવેલા ઘાયલોને તુરંત અમદાવાદ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બેના મોત નીપજ્યા હોવાનું પાલનપુર તાલુકાના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકારણના અખાડામાં ટિકિટ મેળવવા માટે નેતાઓ અનેક કાવાદાવા કરતા હોય છે પરંતુ, વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે જે ભક્તિ અને શ્રદ્ધાની લોકગાથા જેવી ભાસે છે. ભાજપના પાયાના કાર્યકર કોકિલાબેન પવારે વર્ષ 2015માં ટિકિટ ન મળતા અઘરી બાધા લીધી હતી કે, જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે, ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું. કાળઝાળ ગરમી હોય કે ચોમાસાનો કાદવ, સતત પાંચ વર્ષ સુધી ઉઘાડા પગે ફરીને પોતાની વફાદારી સાબિત કરનાર કોકિલાબેનની આ 'તપસ્યા' આખરે 2026ની ચૂંટણીમાં ફળી છે. અનેક ટીકાઓ અને શારીરિક કષ્ટો સહન કર્યા બાદ પક્ષે તેમની ધીરજની કદર કરતા ઉમેદવારી જાહેર કરી છે, જે આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. લોકોએ કહ્યું 'ગાંડપણ' પણ શ્રદ્ધા ડગી નહીંઆ ઘટનાક્રમની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. જાહેર જીવનમાં સક્રિય સ્ત્રી માટે કાળઝાળ ગરમી, કાદવ કે પથરાળ રસ્તાઓ પર ઉઘાડા પગે ફરવું એ શારીરિક અને સામાજિક બંને રીતે પડકારજનક હતું. વર્ષો વીતતા ગયા અને ઋતુઓ બદલાઈ, પણ કોકિલાબેનનો નિર્ણય અટલ રહ્યો. વડોદરાના રાજકારણમાં તેઓ ચર્ચા અને ક્યારેક 'હાંસી'નું પાત્ર પણ બન્યા. કેટલાક લોકોએ તેને 'ટિકિટ મેળવવાનું ગાંડપણ' ગણાવ્યું, પરંતુ તેમના માટે આ માત્ર જીદ નહીં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા હતી. પગમાં કાચ વાગ્યો ને નિયતિએ કસોટી કરી2020માં એક સામાજિક પ્રસંગમાં તેમના પગમાં કાચ વાગતા ઊંડો ઘા પડ્યો હતો. લોહીલુહાણ હાલત અને અસહ્ય પીડા જોઈ પરિવારે તેમને બાધા છોડવા વિનંતી કરી. અંતે, સ્વાસ્થ્યના હિતમાં અને સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે પગરખાં પહેરવાનું શરૂ કર્યું પરંતુ, પક્ષ માટેની તેમની મહેનત અને આશા જીવંત રહી. એવુ કહેવાય છે કે, મહેનત અને શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી. તેમની પાંચ વર્ષની આ આકરી તપસ્યા અને નિઃસ્વાર્થ સેવાની નોંધ ભાજપના મોવડી મંડળે લીધી. 2026ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે કોકિલાબેન પવારનું નામ જોઈ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કોકિલાબેનનો કિસ્સો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, રાજકારણ માત્ર આંકડાકીય ગણિત નથી. ક્યારેક અતૂટ સંકલ્પ શક્તિ અને ધૈર્ય પણ ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આજે તેઓ ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોતરાયા છે, જે સાબિત કરે છે કે દ્રઢ મનોબળ આગળ દરેક મુશ્કેલી વામણી છે.
ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ:ડાલાનું ટાયર ફાટતાં બાઇક સવારને અડફેટે લેતાં મોત
સમી-રાધનપુર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માતની ઘટનામાં સનાડ ગામના એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. સનાડ ગામનો 30 વર્ષીય અનિલ પ્રજાપતિ નામનો યુવક પોતાનું બાઈક લઈને સમીથી રાધનપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની પાછળ આવી રહેલા એક પીકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલા ડાલાએ આગળ જઈ રહેલા અનિલના બાઈકને જોરદાર ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે પાટણ તરફ ખસેડવામાં આવ્યો હતો.જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પ્રજાપતિ પરિવાર અને સનાડ ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. મૃતદેહને ધારપુર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ થતા જ હવે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો તમારા આંગણે મત માંગવા આવશે. ત્યારે તમારા માટે એ જાણવું પણ મહત્વનું છે કે, તમે જેને મત આપીને ચૂંટવાના છો તે ઉમેદવાર કેટલો શિક્ષિત છે? ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી સમયે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં રજૂ કરાયેલા શૈક્ષણિક માહિતીનું ભાસ્કરે વિશ્લેષણ કર્યું છે. જેમાં ભાજપ-કોંગ્રેસે 9-9 વકીલોને અને 1 તબીબને ટિકિટ આપી છે. જો કે, 16 ઉમેદવારો એવા પણ છે કે, જેઓની શૈક્ષણિક લાયકાત 8 પાસ કે તેથી ઓછી છે. ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતનું સરવૈયુંભાજપના નવા 72 ઉમેદવારોમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ મોટું અંતર જોવા મળે છે. પક્ષે 22 એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ ઉચ્ચ શિક્ષિત છે. જેમાં 3 ઉમેદવારો પીએચ.ડી. (ડોક્ટરેટ) ધરાવે છે, જ્યારે 9 ઉમેદવારો એડવોકેટ છે. આ ઉપરાંત ટીમમાં આર્કિટેક્ટ, એમબીએ, તબીબ અને પત્રકારત્વનો અભ્યાસ કરનારા પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો પણ છે જેઓનું શૈક્ષણિક સ્તર ઘણું ઓછું છે. વોર્ડ મુજબ ઉમેદવારોના નામ અને તેમની શૈક્ષણિક લાયકાતની વિગત નીચે મુજબ છે. ચૂંટણી લડતા કુલ ઉમેદવારોમાં 12 ઉમેદવારો તો માત્ર ધોરણ 7 થી 9 સુધીનો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. અગાઉ ચૂંટાયેલા નગરસેવકો પ્રજાના પ્રશ્નો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાકોઈપણ શહેરનો વિકાસ તેના નેતાઓની વિઝનરી શક્તિ, સમજણ અને શિક્ષણ પર આધારિત હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં જે ચિત્ર સામે આવ્યું છે તે અત્યંત આઘાતજનક છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા 72 નગરસેવકોમાંથી અડધોઅડધ કોર્પોરેટરો મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ચોંકાવનારી વિગત તો એ છે કે ભાજપના 68 અને કોંગ્રેસના 4 મળીને કુલ 72 નગરસેવકોમાંથી 17 નગરસેવકો એવા હતા જેઓ પોતે જ લખેલા કે પૂછેલા પ્રશ્નો પણ બોર્ડમાં સ્પષ્ટપણે વાંચી શકતા નહોતા! કોંગ્રેસના 39 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 કે તેથી ઓછીરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે પાયાના કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 39 ઉમેદવારો એવા છે જેઓએ ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ યાદીમાં સૌથી ઓછું શિક્ષણ ધરાવતા ઉમેદવાર 4 પાસ છે. વિગતવાર આંકડા જોઈએ તો 4 થી 7 પાસ હોય તેવા 3, ધોરણ 8 પાસ 10, ધોરણ 9 પાસ 12 અને ધોરણ 10 પાસ હોય તેવા 14 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 8 ઉમેદવારો ધોરણ-12 સુધી ભણેલા છે. અન્ય 22 ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં 2 ઉમેદવારો Ph.Dની પદવી ધરાવે છે. આ ઉપરાંત 9 ઉમેદવારો એડવોકેટ છે, જ્યારે બાકીના 11 ઉમેદવારો એમ.બી.એ., બી.ટેચ, અને એમ.એસ.સી. જેવી ટેકનિકલ અને વ્યાવસાયિક ડિગ્રી ધરાવે છે. શૈક્ષણિક લાયકાતમાં સૌથી નીચેના ક્રમે જોઈએ તો, વોર્ડ નં. 6 ના ઉમેદવાર દક્ષાબેન મકવાણા માત્ર 4 પાસ છે. તેવી જ રીતે મથુરભાઈ માલવી 6 પાસ અને શૈલેષભાઈ સાકરિયા 7 પાસ છે. યાદીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો છે જેઓ પાયાનું શિક્ષણ ધરાવે છે, જેમાં 7 થી 9 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર 12 ઉમેદવારો અને 8 પાસ હોય તેવા 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 10 પાસ હોય તેવા 14 ઉમેદવારો અને 12 પાસ હોય તેવા 8 ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ, પક્ષે ગ્રાસરૂટ લેવલના 30 થી વધુ એવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જેઓ ઉચ્ચ ડિગ્રી ધરાવતા નથી પરંતુ જનતા સાથે સીધા જોડાયેલા છે. કોંગ્રેસે પણ 9 વકીલોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાસામે પક્ષે, કોંગ્રેસે બૌદ્ધિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા 22 જેટલા શિક્ષિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. જેમાં ડૉ. રતિલાલ મનજીભાઈ ડોબરિયા અને ડૉ. કોમલબેન પ્રકાશભાઈ પટેલ પીએચડીની સર્વોચ્ચ પદવી ધરાવે છે. કાયદાકીય સમજ ધરાવતા 9 એડવોકેટ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાં વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાધેલા અને અનિશભાઈ જોશી જેવા જાણીતા નામો સામેલ છે. આ યાદીમાં એમ.બી.એ., બી.ટેચ, એમ.એસ.સી. નર્સિંગ અને એમ.એસ.સી. કેમિસ્ટ્રિ જેવી ટેકનિકલ ડિગ્રી ધરાવતા યુવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કોંગ્રેસે અનુભવી કાર્યકરો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવારરાજકોટ માહનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોની ચિત્ર ફાઈનલ થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામા પોતાની મિલકત, કેસ, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોંગદાનામાની વિગત મુજબ ભાજપ-કોંગ્રેસના 4-4 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે સૌથી વધુ 40 કરોડની સંપતિ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ 17 કરોડની મિલકત દર્શાવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) રાજકોટ મનપાની 72 બેઠક પર ભાજપ સામે કોંગ્રેસના કયા ઉમેદવારની ટક્કર, ફોટો સાથેની યાદી
સુરત શહેરને સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં મોખરે ગણાવતા વહીવટી તંત્રના દાવાઓની પોલ વોર્ડ નંબર 9ના ઉગત સાઈટ એન્ડ સર્વિસ વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાં નર્કાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં રહેતા હજારો શ્રમજીવી પરિવારો આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને દુઃખદ બાબત તો એ છે કે, જ્યાં દેશના ભવિષ્ય સમાન નાના બાળકો શિક્ષણ લેવા જાય છે, તે આંગણવાડીની હાલત અત્યંત દયનીય છે. નંદઘર પાસે જ ખુલ્લી ગટર અને ગંદકીનું સામ્રાજયઆંગણવાડીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. આ તૂટેલા ઢાંકણામાંથી નીકળતી ગટરની અસહ્ય દુર્ગંધ અને આસપાસ ફેલાયેલી ગંદકીના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આંગણવાડીની બાજુની ગલીઓમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે અને ગલીઓનું ગંદું પાણી સીધું આ તૂટેલી ગટરમાં જઈ રહ્યું છે. આવી નર્ક જેવી સ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે અને તેમનું બાળપણ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે એક મોટો સવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઊભો થયો છે. શિવમંદિર પાસે પણ ગટરના પાણી ભરાયેલા રહેમાત્ર આંગણવાડી જ નહીં, પણ આખા વિસ્તારમાં રોડ અને રસ્તાની સમસ્યા એટલી વિકટ છે કે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોના ઘર આંગણે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શંકરના મંદિરની સામે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પવિત્ર સ્થળોની આસપાસ પણ જ્યારે આવી ગંદકી જોવા મળે ત્યારે તંત્રની કામગીરી પર ફિટકાર વરસે તે સ્વાભાવિક છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશોની સૌથી મોટી પીડા એ છે કે અહીં ગટરનું ગંદું પાણી હવે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. લોકોના ઘરોમાં જે નળ આવે છે તેમાં ગટરની દુર્ગંધવાળું પાણી આવતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં મોટે ભાગે મજૂર વર્ગ રહે છે, જેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં શુદ્ધ પાણી માટે તેમને દરરોજ મોંઘા ભાવની બિસલેરી કે પાણીના કેન લાવવા મજબૂર થવું પડે છે. પોતાની રોજની મજૂરીમાંથી પાણી પાછળ આટલો મોટો આર્થિક બોજો સહન કરવો આ ગરીબ પરિવારો માટે અશક્ય બની રહ્યો છે. ટેક્સ વસૂલવામાં ઉત્સાહિત પાલિકા સમસ્યાના નિરાકરણમાં નિરસસ્થાનિક લોકોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અમે ટેક્સ કે વેરો ભરવામાં સહેજ પણ મોડું કરીએ તો તંત્રના માણસો તરત જ નળ કનેક્શન કાપવા અથવા તાળા મારવા પહોંચી જાય છે. વેરો વસૂલવામાં આટલી સક્રિયતા બતાવતું તંત્ર જ્યારે સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યારે કેમ મૂંગું મોઢું કરીને બેસી જાય છે? અત્યાર સુધી આ વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની સમસ્યા સાંભળવા માટે કોઈ પણ કોર્પોરેટર ડોકાયા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ ઉદાસીનતા હવે લોકોમાં આક્રોશમાં બદલાઈ રહી છે. આ વિસ્તારનાલોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે જે પક્ષ કે જે નેતા તેમનું કામ કરશે અને તેમને આ નર્ક જેવી જિંદગીમાંથી મુક્તિ અપાવશે, તેમને જ તેઓ આગામી સમયમાં પોતાનો કિંમતી મત આપશે. જો વહેલી તકે આંગણવાડીનું સમારકામ કરવામાં નહીં આવે, ગટરની લાઈનો સાફ કરવામાં નહીં આવે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં મતદાન ઓછું થવાની શક્યતા રહેલી છે. દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યાવિસ્તારની વરવી વાસ્તવિકતા તપાસતા દિવ્યભાસ્કરના કેમેરામાં ખુલ્લેઆમ દારૂની મહેફીલ માણતા વીડિયો પણ કેદ થયા છે ત્યારે દારૂબંધીના કાયદા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જાહેરમાં જ આ વિસ્તારમાં લોકો દારૂની મહેફીલ માણતા દેખાઈ રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યોસ્થાનિક સોનમતીએ જણાવ્યું હતું કે, અમારી તો સમસ્યા એ છે કે અમારે ત્યાં ગટર ઉભરાઈ રહી છે વર્ષોથી. બે દિવસ સાફ કરે અને ત્રીજા દિવસે પાછું એવું ને એવું જ થઈ જાય. મ્યુનિસિપાલિટીવાળાને અરજીઓ કરી કરીને થાકી ગયા છીએ. અમે 10-20 લોકો સાથે મળીને જઈએ છીએ તો તેઓ કહે છે - 'બહાર નીકળો, બહાર નીકળો!' અમે શું નકામા બેઠા છીએ? તેઓ કહે છે કે તમારી આ જગ્યા વિવાદિત છે અને તમે અહીં જબરદસ્તીથી રહો છો. તો સરકારે જ મીરાનગર અને સુભાષનગરના ઝૂંપડા તોડીને અમને અહીં રહેવા માટે આપ્યું છે. સરકારે તોડ્યું ત્યારે જ અમે અહીં આવ્યા છીએ ને! હવે અહીં રોડ પર પણ પાણી ભરાય છે. હમણાં ચોમાસું આવશે તો એટલું પાણી ભરાઈ જશે કે અમારે જીવવું મુશ્કેલ થઈ જશે. ગંદકીને કારણે બાળકો બીમાર પડે છે, મારી તબિયત વારંવાર ખરાબ થઈ જાય છે. અમે જઈએ ક્યાં? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે બધા મોઢું બતાવીને આવી જાય છે, પણ તેમને અમારી સમસ્યા દેખાતી નથી. કહેશે કે તમારી જગ્યા વિવાદિત છે. જો જગ્યા વિવાદિત છે તો અમારી પાસે વોટ માંગવા શું કામ આવે છે? અમે લાઈટ બિલ અને વેરો ભરીએ છીએ તો અમારી જગ્યા વિવાદિત કઈ રીતે?લાઈટ બિલ અમે ભરીએ છીએ, વેરો ભરીએ છીએ. જો એક-બે વર્ષ ન ભરીએ તો તાળા લગાવી દે છે, ત્યારે જગ્યા વિવાદિત નથી હોતી? ત્યારે તો એ સરકારની જગ્યા થઈ જાય છે! જે ઓફિસમાં એવું બોલ્યા હતા એ જ લોકો અત્યારે મોઢું લટકાવીને આવશે. જો જગ્યા વિવાદિત છે તો તાળા કેમ મારે છે? અમે આ નાનાં બાળકોને લઈને ક્યાં જઈશું? માણસને પોતાની ફેમિલી તો હોવી જોઈએ ને? જો કોઈ એકલું હોય તો દુનિયા ટોણા મારે છે, પણ જેમને પરિવાર છે શું તેઓ આ ગંદકીમાં મરી જાય? વોટ આપવાની લઈને તેમને જણાવ્યું હતું કે, અમે તો બિલકુલ વોટ નહીં આપીએ. રોડ ખોદી નાખ્યો છે, અમે માટી નાખીને જે ઊંચું કર્યું હતું એ પણ બગાડી નાખ્યું. અત્યારે અહીં મોહલ્લામાં લોકો અંદરોઅંદર લડે છે. ભાઈ-ભાઈ લડે છે. પાડોશીઓ સાથે જેવો સંબંધ રાખવો જોઈએ એના બદલે ગાળાગાળી થાય છે. નેતાઓ તો વોટ લઈને જતા રહે છે, પણ પાડોશી જે ભાઈ કે દીકરા સમાન હોય તેની સાથે સંબંધ બગડે છે. તો કયા આધારે વોટ આપીએ? અમે બાળકો પેદા કરીએ છીએ કે તેઓ મોટા થઈને અમારો સહારો બનશે. અમે નેતાઓને પણ એટલે જ વોટ આપીએ છીએ કે મુસીબતના સમયે તેઓ અમારો સાથ આપશે. જેમ સંતાનો ઘડપણમાં નથી પૂછતા, એમ જ આ નેતાઓ પણ છે. કોઈ સાથ આપવા નથી આવતું. બસ આવીને કહેશે કે 'આ કરીશું, તે કરીશું...' અને પછી અંગૂઠો બતાવીને ચાલ્યા જાય છે. અમે શું પાગલ છીએ? અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ તો શું અમને કોઈ સમજણ નથી? શું અમારી કોઈ ઇજ્જત નથી? અમારી કોઈ કિંમત નથી? સ્થાનિક ગુડ્ડુ સાહનીએ જણાવ્યું હતું કે, ગટરનો ચાર-પાંચ વર્ષથી પ્રોબ્લેમ છે. આવે છે લોકો કામ કરે છે અને ફરી પાછું એવું ને એવું જ થઈ જાય છે. અને પીવાનું તો એટલું વાસ મારે છે કે પૂછો જ નહીં. બે-બે, ચાર-ચાર દિવસ પછી પાણી આવે છે. ક્યારેક-ક્યારેક, પહેલા ઠીક હતું પણ અત્યારે એક-બે વર્ષથી બહુ જ પ્રોબ્લેમ છે, પાણીનો અને ગટરનો. એ તો બહુ જ વધારે તકલીફ છે. અને અમે સમસ્યા પણ લઈને જઈએ છીએ ઝોન ઓફિસમાં, તો બે માણસને મોકલે છે, પછી આવે છે અડધો કલાક કામ કરે છે અને ફરી પાછી જેવી ને તેવી જ સમસ્યા રહે છે. કોઈ નિરાકરણ આવતું નથી. જેમ કે અમે સમજો કે ગટરમાં રહેતા માણસ હોઈએ, કોઈ સાંભળતું જ નથી કંઈ કરવા માટે. તેમણે જણાવ્યું હતું કે કોઈ નેતા પ્રચાર માટે આવશે તો અમે ત્યાં શું કે પહેલા અમારી સમસ્યાનું નિરાકરણ લાવો પછી તમને વોટ આપી છું જોકે જ્યારે ચૂંટણી આવે ત્યારે તે લોકો કહે છે કે અમે તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવીશું પરંતુ પછી કોઈ આવતું નથી.
અમદાવાદના દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં ક્લાસમેટ સામે કેસ ચાલશે
દર્શને આઈઆઈટી હોસ્ટેલના ૭મા માળેથી ઝંપલાવ્યું હતું દર્શને લખેલી ચિઠ્ઠીના આધારે અરમાન ખત્રી સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ ચલાવાશે મુંબઈ - મૂળ અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટી પવઈમાં ભણતા વિદ્યાર્થી દર્શન સોલંકીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ તેના ક્લાસમેટ અરમાન ખત્રી સામે કેસ ચલાવાશે. અદાલતે અરમાન પર આત્મહત્યા માટ દુષ્પ્રેરણા ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપો ઘડયા છે. આઈઆઈટીમાં બી ટેક કેમિકલના પહેલાં વર્ષમાં ભણતા અમદાવાદના મણિનગરના રહેવાસી દર્શને ૨૦૨૩ની ૧૨મી ફેબુ્રઆરીએ આઈઆઈટી પવઈ ખાતેની હોસ્ટેલના સાતમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.
સીબીએસઈ ધો. 10માં બીએમસીની શાળાઓનો ડંકો- 92.89 ટકા પરિણામ
મુલુંડ, ઘાટકોપર સહિત ચાર શાળાનું ૧૦૦ ટકા પરિણામ મહાપાલિકા શાળાઓમાં ૯૭.૮ ટકા સાથે મુલુન્ડની મીઠાગર શાળાનો વિદ્યાર્થી પ્રથમ ઃ અનેક વિદ્યાર્થીઓને ૯૫ ટકાથી વધુ મુંબઇ - બીએમસી સંચાલિત સીબીએસઈ શાળાઓના પ્રથમ બેચે ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કુલ ૯૨.૮૯ ટકા પાસિંગ રિઝલ્ટ સાથે આ પરિણામે મ્યુનિસિપલ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.
પાણી નહીં તો વોટ નહીં:રાધનપુરના નજુપુરામાં સિંચાઈના પાણી પ્રશ્ને મતદાન નહીં કરવા નિર્ણય
રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો પ્રચારને બદલે બહિષ્કારમાં ફેરવાયો છે. છેલ્લા એક દાયકાથી સિંચાઈના પાણી માટે વલખાં મારતા ગ્રામજનોએ આક્રોશ સાથે પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવ્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ અંગે કોઈ ઉકેલ ન આવતા બુધવારે રાત્રે ગામ સભા કરી આગામી 26 એપ્રિલે સમસ્ત ગામ દ્વારા મતદાનનો સામુહિક ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. તંત્ર અને નેતાઓની ખાલી બાંહેધરીઓને માન્ય ના રાખતા હવે રાજકીય પક્ષો સાથે નર્મદા વિભાગ પણ દોડતું થયું છે. નજુપુરા ગામમાં છેલ્લા 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ સિંચાઈની પાઇપ લાઇન નાખવામાં આવી હતી. આ યોજનાથી ખેડૂતોમાં આશા જન્મી હતી કે તેમની 700 વીઘાથી વધુ જમીન લીલીછમ થશે, પરંતુ હકીકત કંઈક અલગ જ રહી કેનાલમાં શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ છે, જેને પરિણામે ખેતરો સૂકા ભઠ્ઠ પડ્યા છે અને અનેક ખેડૂતો હિજરત કરવા મજબૂર બન્યા છે. રજૂઆતો છતાં નર્મદા વિભાગના બહેરા કાને અથડાઈને અરજી પાછી આવે છે. તાજેતરમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ઉચ્ચ અધિકારીઓએ ગામની મુલાકાત લઈ ખાતરી આપી હતી.પરંતુ કોઈ નક્કર નિરાકરણ ના આવતા બુધવારે ગ્રામજનો રાત્રે એકત્ર થઈ સભા કરી ચર્ચા બાદ જ્યાં સુધી ગામમાં પાણી ના મળે ત્યાં સુધી ચૂંટણીમાં એક પણ મત ન આપવાનો નિર્ણય લઈ ગામના લોકોએ રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. નેતાઓ ખાતરી પણ કામ થતું નથી : લોકોવિપુલ દેસાઈએ જણાવ્યું હતું કેઅમે છેલ્લા 10 વર્ષથી નર્મદા વિભાગ અને નેતાઓના ઉંબરા ઘસી નાખ્યા છે.પાઈપલાઈન હોવા છતાં અમારી જમીન સૂકી છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખાતરી આપી જાય છે, પણ કામ થતું નથી. આ વખતે અમે નક્કી કર્યું છે કે જો ખેતરમાં પાણી નહીં પહોંચે, તો અમે મતદાન મથકની સીડી પણ નહીં ચઢીએ. પાણી વિના ખેતી ભાગી પડતાં મુશકેલી વધીમહિલા એ જણાવ્યું હતું કે પાણી વિના ખેતી ભાંગી પડી છે, ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. ખેતીમાં ઉપજ ન હોવાથી મોંઘવારીમાં ગુજરાન કેમ કરવું? અનેક પરિવારો ઇજરત કરીને ઘર છોડીને જતા રહ્યા છે.સરકાર અને અધિકારીઓ પીડા નથી સમજતા, એટલે નક્કી કર્યું છે કે આ વખતે એક પણ વોટ આપવો નથી. અમારા માટે પાણીની પાયાની સુવિધા પહેલા, પછી જ ચૂંટણી અને મતદાન છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
પોલીસની સરાહનીય કામગીરી:ખાનગી ગાડીમાં ભુલાઈ ગયેલી બેગ પોલીસે યુવકને પરત અપાવી
અમદાવાદથી મહેસાણાની મોઢેરા ચોકડી ઉપર ગાડીમાંથી ઉતર્યા બાદ ભુલાઈ ગયેલ ઉનાવાના યુવકની બેગને મહેસાણા પોલીસના કમાન્ડ કંટ્રોલરૂમની ટીમેં સીસીટીવી ફૂટેજની મદદથી શોધીને પરત અપાવી હતી. ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતો ચંદ્રકાંત નટવરલાલ સેનમા નામનો યુવક અમદાવાદના ચાંદખેડાથી ઉનાવા ઘરે પરત આવવા માટે ગુરુવારના રોજ એક પેસેન્જર ગાડીમાં બેઠો હતો બપોરે 2:00 વાગ્યાની આસપાસ મહેસાણાની મોઢેરા ચોકડી પર તે ગાડીમાંથી ઉતર્યા બાદ પોતાની પત્નીની બે સાડીઓ, સોનાની ચુની અને સામાન ભરેલી બેગ તે ગાડીમાં જ ભૂલી ગયો હતો. પોતાની બેગ ખોવાઈ જતા તેણે મહેસાણા પોલીસની નેત્રમ શાખાનો સંપર્ક કરતા શહેરના પોલીસના તમામ સીસીટીવી જ્યાંથી કંટ્રોલ થાય છે તે કમાન્ડ કંટ્રોલરૂમના પી.એસ.આઇ સુથાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી મહેસાણા આવવા માટે ચંદ્રકાંત જે ગાડીમાં બેઠો હતો. તેને શોધી કાઢી હતી અને જી.જે. 35 એચ 2762 નંબરની અરટીકા કારના માલિકનું સરનામું અને નંબર શોધી પોલીસની ટીમે તેનો સંપર્ક કરતા ગાડીમાં જ બેગ હોવાની ખબર પડી હતી
ઉગ્ર વિરોધ:મનપાના વિકાસ નકશા સામે ફતેપુરા ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ
મહેસાણા મહાનગરપાલિકાનો પ્રાથમિક વિકાસ નક્શો જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ફતેપુરા ગામના ખેડૂતોમાં મોટા રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ગ્રામજનોએ એકજૂટ થઈ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીએ વાંધા રજૂ કર્યા હતા. ફતેપુરા ગામના અલ્પેશભાઈ પટેલ સહિતના ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી તેઓ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તેમની જમીન પાલોદર ગામના રેકોર્ડમાં દાખલ છે. ફતેપુરા અને પાલોદરના સર્વે નંબરો મનપા વિસ્તારમાં સામેલ થતા વિકાસ નકશામાં 24 થી 30 મીટરના મોટા રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દર્શાવવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. અંદાજે 40 ટકા જમીન કપાતમાં જતી રહે તેવી શક્યતા છે, જેના કારણે ખેતીલાયક જમીન ઘટી જશે અને જીવનનિર્વાહ પર અસર પડશે.
ભાસ્કર એક્સક્લુસિવ:મનપા ચૂંટણીમાં ધો. 4થી પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો મેદાનમાં
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 47 બેઠકો માટે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીઓ અને વિસ્તારોમાં ફરીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 122 ઉમેદવારોએ દાખલ કરેલા સોગંદનામા અનુસાર, સૌથી ઓછું ધોરણ 4 સુધીનું શિક્ષણ ધરાવતા ઉમેદવારથી લઈને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) સુધીનું ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા 14 ઉમેદવારોમાં એમ.એ., એમ.કોમ., ઇજનેરી અને એમ.બી.એ. જેવા અભ્યાસક્રમનો સમાવેશ થાય છે, તેમાં 4 ઉમેદવારોએ બી.એડ. અને 3 ઉમેદવારોએ એલ.એલ.બી. (એડવોકેટ)નું શિક્ષણ મેળવ્યું છે. આમાં ભાજપના 8, કોંગ્રેસના 4 અને આપના 2 ઉમેદવાર છે. બીજી તરફ, ભાજપના બે ઉમેદવારો ધોરણ 10 નાપાસ છે, જ્યારે એક મહિલા ઉમેદવારએ પોતાના સોગંદનામામાં પોતે અભણ હોવાનું દર્શાવ્યું છે. ત્રણેક ઉમેદવારના સોગંદનામામાં સ્પષ્ટ શિક્ષણ લાયકાત જોવા મળતી નથી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 29 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. ત્યારબાદ 25 ઉમેદવારો સ્નાતક (બી.એ., બી.કોમ., બી.એસસી., બી.સી.એ.) છે, જેમાં 3 અંડરગ્રેજ્યુએટનો પણ સમાવેશ થાય છે. કુલ 5 ઉમેદવારો ITI અથવા ડિપ્લોમા પાસ છે. તેમાં કોંગ્રેસના મીનાબેન ચૌધરીએ કોસ્ચ્યુમ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભાજપના ભવાનીસિંહ પ્રિન્સે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. વોર્ડ નં. 3, 11 અને 12માં એક-એક એલ.એલ.બી. થયેલા ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે. 40 વર્ષથી ઓછી વયના 46 યુવા ઉમેદવારોમેદાનમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. વિવિધ પક્ષોમાંથી કુલ 46 ઉમેદવારો 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જે કોર્પોરેશનના આગામી 5 વર્ષના શાસન માટે મેદાનમાં ઉતર્યા છે. સૌથી નાની ઉંમરના ઉમેદવાર 22 વર્ષના ચિરાગસિંહ ઝાલા છે, જ્યારે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 67 વર્ષના શાન્તાબેન મકવાણા છે.
RTE પ્રવેશ:RTEની 4095 અરજીમાંથી 2575 મંજૂર, 696 કેન્સલ અને 427 પેન્ડિંગ
ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે મફત શિક્ષણના કાયદા હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ગુરુવારે બપોર સુધીમાં 4095 ઓનલાઈન અરજીઓ થઈ હતી. તેમાં ચકાસણી બાદ 2575 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે પૂરતા દસ્તાવેજોના અભાવે અથવા અપૂરતી માહિતીના કારણે 397 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. ડુપ્લિકેટ 696 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હજુ 427 અરજીઓ ચકાસણી હેઠળ પેન્ડિંગ છે. આજે ઓનલાઈન અરજીનો અંતિમ દિવસ હોવાથી અરજીઓમાં વધારો થવાની શક્યતા છે. સ્તાવેજોની ચકાસણીમાં કેટલાક વાલીઓએ હાલના રહેઠાણના બદલે અન્ય સ્થળનો ભાડા કરાર દર્શાવ્યો હતો, આવકનો દાખલો અન્ય સ્થળનો હતો અથવા આવક મર્યાદાથી વધુ હતી, તેમજ પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાના કારણે અરજીઓ ચકાસણી બાદ રિજેક્ટ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ઓનલાઈન ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે. ગુરુવાર બપોર સુધી પોર્ટલમાં 4095 ઓનલાઈન અરજીઓ નોંધાઈ હતી. નિયુક્ત ચકાસણી ટીમ દ્વારા ફોર્મ અને દસ્તાવેજોની તપાસ ચાલુ છે. જેમાં તમામ માહિતી અને દસ્તાવેજો યોગ્ય જણાય તેવી 2575 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. એક વખત અરજી નામંજૂર થયા બાદ કેટલીક વાર ફરીથી અરજી કરવામાં આવે છે, જેના કારણે આવી ખામીવાળી અરજીઓ ડુપ્લિકેટ ગણાઈને કેન્સલ કરવામાં આવે છે. આવી 696 અરજીઓ કેન્સલ થઈ છે. જ્યારે પૂરતા દસ્તાવેજો ન હોવા અથવા ખામી હોવા જેવી સ્થિતિમાં 397 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. રોજના 20 સ્લોટ વધતા ભાડા કરારની પ્રક્રિયા સરળમાલિકીનું મકાન ન ધરાવતા વાલીઓને બાળકના ધોરણ-1 પ્રવેશ માટે રજિસ્ટર્ડ ભાડા કરાર રજૂ કરવો જરૂરી છે. સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ સવારના 74 અને બપોર પછીના 32 સ્લોટ હાઉસફુલ રહેતા હોવાથી વાલીઓને મુશ્કેલી પડી રહી હતી. આ મુદ્દે અહેવાલ પ્રકાશિત થયા બાદ છેલ્લા ચાર દિવસથી દરરોજ સવારે 74 અને બપોર પછી 52 સ્લોટ કરાયા છે એટલે 20 સ્લોટનો વધારો કરાયો છે, જેના કારણે વંચિત વાલીઓએ એપોઇન્ટમેન્ટ મેળવી ભાડા કરાર કરાવ્યા છે. સબ-રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, આશરે 20 જેટલા ભાડા કરારો નોંધાયા છે.
ભુજ વોર્ડ નંબર - 11:બગીચા પુનર્જીવિત કરવા સિવાય ‘ઓલ વેલ’
ભુજનો વોર્ડ નંબર 11ને શહેરનો સૌથી વિશાળ વિસ્તાર છે, જેમાં નાની-મોટી મળી કુલ 68 જેટલી કોલોનીઓનો સમાવેશ થાય છે. વિસ્તારના વિકાસના દાવાઓ વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓ હજુ અધૂરી કે બિનઉપયોગી હાલતમાં હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળે છે. ખાસ કરીને પ્રમુખસ્વામી નગરનો તોરલ ગાર્ડન, બાયો ડાયવર્સિટી પાર્ક અને પુનિત વન જેવી જગ્યાઓ યોગ્ય રીતે વિકસિત થઈ અને જાળવણી સાથે જીવંત બને તો આસપાસના હજારો નાગરિકોને તેનો સીધો લાભ મળી શકે છે. આ વોર્ડમાં આગામી ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેના કારણે ચૂંટણીનું કોઈ ખાસ વાતાવરણ જોવા મળ્યું નથી. પૂર્વ નગર સેવિકા બિંદીયા ઠક્કરે જણાવ્યું હતું કે ચંગલેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલો અંડરગ્રાઉન્ડ ટાંકો શરૂ થતા પાણી વિતરણમાં સુધારો થયો છે. ઉપરાંત, સફાઈ વ્યવસ્થા સંતોષકારક રીતે ચાલે છે અને માર્ગો તેમજ ડ્રેનેજના કેટલાક કામો પણ પૂર્ણ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુડીએપી, જનભાગીદારી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 9.12 કરોડ રૂપિયાના બાંધકામના કામો થયા છે. હરીપર, આઇયા નગર, વ્હોરા કોલોની અને શિવકૃપા નગર જેવા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે. જોકે, ચંગલેશ્વર સામે આવેલા ઓવર હેડ ટેન્કનું કામ સીમા સુરક્ષા દળની મંજૂરીના અભાવે અટવાઈ ગયું છે. બીજી તરફ, સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરતાં અનેક સમસ્યાઓ પણ સામે આવી છે. ખાસ કરીને સ્ટ્રીટ લાઈટોમાંથી 70 ટકા કરતાં વધુ લાઈટો બંધ હાલતમાં હોવાનું લોકોનો આક્ષેપ છે. માર્ગોના નવીનીકરણ દરમિયાન ફૂટપાથ તોડી નાખવામાં આવ્યા હોવાના કારણે ચાલતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સાથે જ, કરવામાં આવેલા કામોની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે અને ચોમાસામાં આ કામોની હકીકત બહાર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ, વોર્ડ નંબર 11માં વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ કેટલીક અધૂરી કામગીરી અને સમસ્યાઓ યથાવત રહેતાં નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિસ્તારમુન્દ્રા રિલોકેશન સાઈટ, સન બંગ્લોઝ, ચંગલેશ્વર સોસાયટી, આઈયા નગર, નીલકંઠ નગર, લાયન્સ નગર, જિલ્લા પંચાયત ક્વાર્ટર, સરદાર પટેલ નગર, હરીપર, કોવઇ નગર, નૂર કોલોની, અરિહંત નગર, સિલ્વર પાર્ક, પ્રમુખ સ્વામી નગર મતદારોની સંખ્યા
સંસ્કારનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા દ્વારા આશરે 8 કરોડના ખર્ચે ત્રિમંદિરથી કોમર્સ કોલેજ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ચાર મહિના પહેલાં ત્રિમંદિર પાસે શરૂ કરાયેલું આ કામ સીમંધર સિટી વિસ્તારમાં આવીને અટકી ગયું છે, કારણ કે ત્યાં વીજ થાંભલા ખસેડવાની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી બંધ પડી છે. બીજી તરફ, શહેરમાં માર્ગ વિસ્તરણના કામની ગતિમાં વિલંબથી થોડા સમય પહેલા ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કામને ઝડપ આપવા સૂચના આપવામાં આવી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોમર્સ કોલેજથી રઘુવંશી સર્કલ સુધી સીસી રોડ બનાવવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જ માર્ગ પર નગરપાલિકાની ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાકી છે. નગરપાલિકાના સંલગ્ન ઇજનેર દ્વારા માર્ગ અને મકાન વિભાગ સાથે સંપર્ક સાધી રોડના ખોદકામને અત્યારે અટકાવી પાઈપલાઈન નાખવાની કામગીરી પહેલા પૂર્ણ કરવાની જરૂરિયાત નું જણાવતા, હાલ રોડનું કામ બંધ કર્યું છે. આગામી બે થી અઢી મહિના સુધી અહીં પાઈપ પાથરવાનું કામ ચાલુ રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ બતાવે છે. વાસ્તવમાં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને જાણ હોવી જોઈએ કે ભુજમાં જે કામ થઈ રહ્યા છે તે ક્યાં અને કેમ થઈ રહ્યા છે. અનેકવાર એવું બન્યું છે કે રોડ બનાવ્યા પછી ખોદવા પડ્યા છે. ફરીથી એવું જ આ કિસ્સામાં પણ બનવાની શક્યતા હતી. નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ વચ્ચે ભુજના રીંગરોડના વિસ્તૃતિકરણ સંદર્ભે આંતરિક અસંતોષ દેખાઈ આવે છે.
રાજકોટ ખાતે ચાલી રહેલી જય હિંદ ટ્રોફી ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લા ક્રિકેટ ટીમે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને યથાવત રાખતા વધુ એક ભવ્ય વિજય નોંધાવ્યો છે. જુનાગઢ જિલ્લા ટીમ સામે રમાયેલી મેચમાં જામનગરની ટીમે વિજય મેળવીને સેમિફાઈનલમાં પહોંચી છે. ખંઢેરીના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં જામનગરની ટીમે પ્રથમ ઈનિંગમા 196 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેમાં મિહીર જોશીએ 51 રનની અડધી સદી ફટકારી, વિશ્વરાજ જાડેજાએ 34 અને રોહન મથ્થરે 25 રનનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બીજી ઇનિંગમા વિશ્વરાજ જાડેજા 143 રન ફટકાર્યા હતા, અને પુષ્કર કુમારે 66 રન કરી મોટો સ્કોર કર્યો હતો. જવાબમાં જુનાગઢની ટીમ જામનગરના બોલરો સામે ટકી શકી નહોતી અને 170 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ ઈનિંગમા જામનગર તરફથી બોલિંગમાં વિશ્વરાજ જાડેજાએ 17 ઓવરમાં 3 મેડન સાથે 37 રન આપી 4 વિકેટ ઝડપી હતી. અને બીજી ઇનિંગમાં જય રાવલિયાએ પણ શાનદાર પ્રદર્શન કરી 9 ઓવરમાં 35 રન આપી 5 વિકેટ ઝૂંટવી, જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ જીત સાથે જામનગરની ટીમે ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પોતાની જગ્યા મજબૂત બનાવી છે. હવે આગામી મુકાબલો 20 મેના રોજ ભાવનગર જિલ્લા ટીમ સામે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા ટીમ અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. વર્ષોથી ખેલાડીઓ કોચ મહેન્દ્રસર ચૌહાણ પાસેથી તાલીમ મેળવી રહ્યા છે,
બેદરકારી:જી.જી.હોસ્પિટલમાં ટેકનિકલ ખામીથી એક્સ-રે મશીન ત્રણ દિ’થી બંધ, દર્દીઓને ભારે હાલાકી
જામનગર શહેરની જી.જી.હોસ્પિટલ ફરી એક વખત અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીનમાં ખામી સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૈનિક હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યારે આવી ખામી આરોગ્ય સેવાઓ પર સીધી અસર કરે છે. જી.જી.હોસ્પિટલમાં રોજના 3 થી 4 હજાર જેટલા દર્દીઓ માટેની ઓપીડી હોય છે. જેમાંથી આશરે 1000 થી 1200 જેટલા દર્દીઓને એક્સ-રેની જરૂર પડી રહી છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલના 11 નંબર રૂમમાં આવેલ એક્સ-રે મશીન અચાનક બંધ થઈ જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા હોસ્પિટલની એસબીઆઈ એટીએમથી આગળ નવી સોનોગ્રાફીની સામે 2 નંબરમાં ઉભી કરવામાં આવી છે. ત્યાં ત્રણ જેટલા એક્સ-રે મશીનો હોવાનું ટેકનિશિયનો જણાવે છે, તેમ છતાં દર્દીઓની ભીડ વધુ રહેતી હોવાથી કલાકો સુધી દર્દીઓને એક્સ-રે માટે રાહ જોવી પડે છે. તેમાં પણ ઇમરજન્સી દર્દીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે. આ હાલતમાં ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બની રહ્યા છે, જેના કારણે તેઓને વધારાનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. જેથી આ સમસ્યા વહેલી તકે ઉકેલાય તેવી દર્દીઓની લાગણી છે. બે દિવસમાં એક્સ-રે મશીન રીપેર થઈ જશે... જી.જી.હોસ્પિટલના 11 નંબરના એક્સ-રે મશીનમાં ખામી સર્જાતા દર્દીઓને હાલાકી ગઈ છે, પરંતુ તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા 2 નંબરમાં કરવામાં આવી છે. હાલ આ ખરાબ થયેલ મશીન રીપેરીંગ માટે કંપનીના કારીગરો આવ્યા હતા. બે દિવસમાં એક્સ-રે મશીન ફરી શરૂ થઈ જશે. - ટેકનીશિયન
સારવાર:જામનગરમાં 108ની ટીમ બની દેવદૂત, માતા-પુત્રના જીવ બચાવ્યા
જામનગર શહેરના ઈન્દિરા માર્ગ પર આવેલા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય શોભનાબેન ડાભીને અચાનક પ્રસુતિની પીડા શરૂ થતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાને કોલ કર્યો હતો. કોલ મળતા જ જામનગર સમર્પણ ચોકડી ખાતે ડ્યુટી પર હાજર EMT દિપ્તિ મારું અને પાયલોટ વજસી જોગલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે મહિલાની પીડા ખૂબ જ વધી ગઈ હોવાથી હોસ્પિટલ સુધી પહોંચાડવા સમય નહોતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો. ટીમના સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને બાળકનો જન્મ કરાવ્યો હતો. બાદમાં માતા-પુત્રને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ બંને સ્વસ્થ હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાએ 108 ટીમની કાર્યક્ષમતા અને માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે. પરિવારજનોએ 108 ટીમ દેવદૂત સમાન બની હતી.
વાતાવરણ:શહેરમાં ગરમીનો પારો નીચે સરકીને 34.5 ડિગ્રી નોંધાયો
જામનગર હવામાનમાં ફેરફાર નોંધાયો છે અને ત્રણ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે 34.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ડીગ્રીનો મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાનમાં અચાનક આવેલા ફેરફારના કારણે ગત મંગળવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી મૌસમનું સૌથી ઉંચુ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. જે બાદ સડસડાટ બીજા દિવસે બે ડિગ્રીનો ઘટાડો અને ત્રીજા દિવસે દોઢ ડિગ્રીના ઘટાડા સાથે ત્રણ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે સવાર ચોવીસ કલાક પુરા થતાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 20 કી.મી.ની ઝડપે ફુંકાયો છે. ગરમીના પારામાં થયેલા ઘટાડાથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. તો બીજી બાજુ ભારે પવનના કારણે બપોરના સમયે ગરમ પવન ફુંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં થોડી ગરમીનો અનુભવ થયો હતો. પરંતુ હાલ ગરમીનો પારો નીચે સરકરતા લોકોને ગરમીમાં રાહત મળી છે. સપ્તાહના પ્રારંભે ચાલુ સિઝનમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાતા મહત્તમ પારો 38.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે બાદ ત્રણ દિવસથી તાપમાન ઘટ્યું છે.
હુકમ:કાલાવડ નાકા બહાર રીવર બ્રીજ પર તમામ વાહનો આજથી બંધ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર હયાત રીવર બ્રીજને ડીમોલેશન કરી નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીર અંતર્ગત હયાત બ્રીજ ડિમોલીશન તથા નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીરી અનુસંધાને રંગમતી નદી પરનો હયાત રસ્તો સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી આગામી તા.17 એપ્રિલથી તા.15 ઓકટોમ્બર સુધી દરમિયાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મ્યુ.કમિશનર ડી.એન.મોદીએ હુકમ કર્યો છે. હુકમનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ.કમિશનરે બહાર પાડેલી નોટીસમાં ટુ-વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રંગમતી નદી ઉપરનો હયાત રીવર બ્રીજ પરનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે રંગમત નદીમાં બનાવવમાં આવેલ સર્વિસ રોડ ખુલ્લો રહેશે. સર્વિસ રોડથી કલ્યાણ ચોક થઈ ટુ-વ્હીલર્સ તથા તમામ પ્રકારના નાના વાહનોની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ચાલુ રહેશે. જ્યારે ભારે વાહન માટે જામનગર કાલાવડ રોડની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નાગનાથ જંકશનથી સુભાષ બ્રીજ થઈ અન્નપુર્ણા મંદિર થઈ મહાપ્રભુજી બેઠક રોડ થઈ ઠેબા બાયપાસ જંકશન તરફ ચાલુ રહેશે. તેમજ મોરકંડા-જામનગર રોડની વૈકલ્પિક ટ્રાનસપોર્ટ વ્યવસ્થા મોરકંડાથી ચોકડીથી ઉપર મૂજબના રૂપ પ્રમાણે ચાલુ રહેશે.
વિરોધ સામે ભાજપની નવી સ્ટ્રેટજી:ફેરણીમાં લોકો રજૂઆત અને વિરોધ કરે ત્યારે ઢોલ નગારા શરૂ કરી દેવાના
કોર્પોરેશનની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. બંને મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારો જયાં પણ ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યાં તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. જેના પગલે વિરોધ સામે ભાજપની નવી સ્ટ્રેટજી બનાવી છે. જેમાં ભાજપના ઉમેદવારો જયારે ફેરણીમાં જાય અને જો લોકો રજૂઆત કે વિરોધ કરે ત્યારે ઢોલ નગરા શરૂ કરી દેવાના જેથી લોકોનો અવાજ દબાઇ જાય. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે ત્યારે આવનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઇ રહી છે. સતત એકહથ્થુ શાસન ભોગવી રહેલા પક્ષને આ વખતે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં તો શહેરની સૌથી વધારે દુદર્શા થઇ છે. શહેરના દરેક વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તાની સમસ્યાથી શહેરીજનો પરેશાન છે. જેના પગલે ભાજપના ઉમેદવારો જયારે પણ ફેરણીમાં આવે છે ત્યારે વોર્ડમાં રહેતા નાગરીકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ભાજપના ઉમેદવારોના વિરોધનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેના પગલે જો કોઇ પણ વ્યક્તિ રજૂઆત કરે કે રોષ ઠાલવે તેવા સમયે ફેરણીમાં હાજર ઢોલ નગારા વગાડવાની શરૂઆત કરી દેવામાં આવે છે. ઢોલ નગારા વાળાને સૂચના અપાઇ છે કે જેવો વિરોધ થાય તેની સાથે જ ઢોલ નગારા વગાડવાના શરૂ કરી દેવાના. ઢોલ નગારાના અવાજમાં લોકોનો અવાજ દબાવાઇ રહ્યો છેરોડ, રસ્તા, ઓછા પ્રેશરથી પાણી, ગંદુ પાણી, વરસાદમાં ઘરોમાં પાણી ભરાવું, ઠેર ઠેર ખાડા, ભૂવા, રખડતા ઢોર, ટ્રાફીક સહિતની સમસ્યાથી ત્રસ્ત થઇ ગયેલા શહેરીજનોનો આવાજ ઢોલ નગરામાં દબાવામાં આવી રહ્યો હોવાની લાગણી લોકો વ્યકત કરી રહ્યા છે. ત્યારે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ઢોલ નગરામાં દબાયેલા નાગરીકોના અવાજનો પડઘો પડે તેવી શકયતાઓ છે.
કોર્ટે બૂટલેગરના 2 દિવસના રિમાન્ડ મંજૂર:કુખ્યાત બૂટલેગર સુનિલ અદો, પલ્લી 2 દિવસના રિમાન્ડ પર
હરિયાણાના ગુરુગ્રામથી SMCએ ઝડપી પાડેવા દારૂના કૌભાંડના સૂત્રધાર સુનિલ અદો અને સાગરીત પલકેશ ઉર્ફે પલ્લીને વડોદરાની અદાલતમાં રજૂ કરાયા હતા.પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેની સુનાવણી બાદ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નંદેસરી GIDC વિસ્તારમાં 2 ફેબ્રુઆરીએ SMCએ દરોડો પાડ્યો હતો. જેમાં 43 લાખના દારૂ સહિત વાહનો, મોબાઇલ અને રોકડ મળી 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં 6 આરોપી ઝડપાઈ ગયા હતા, જ્યારે 8 ફરાર થયા હતા. ગુનામાં સુનિલ અદો,લાલુ સિંધી સહિત અન્ય ફરાર આરોપીઓ સંડોવાયેલા હતા. ભાસ્કર ઇનસાઇડશહેર પોલીસને વગર મહેનતે આરોપી મળ્યોબે દિવસ પહેલાં SMCએ તપાસ કરી મોબાઇલ સર્વેલન્સના આધારે હરિયાણાના ગુરુગ્રામ પાસે આવેલા રેવાડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દારૂનો સપ્લાયર ફરાર આરોપી સુનિલ અદો અને તેનો ડ્રાઈવર પલ્લી ઝડપાયો હતો. તે સમયે ફ્લેટમાં હાજર સંજય ઉર્ફે અન્નો કિશોરસિંગ સિંગ પણ ઝડપાયો હતો. તપાસ દરમિયાન જવાહર નગર પોલીસ મથકે નોંધાયેલા દારૂના કેસમાં એ વોન્ટેડ હોવાનું ખૂલ્યું હતું.જેને SMC ગાંધીનગર લઈ આવી હતી. જેનો શહેર પોલીસે કબજો મેળવી અત્રે લાવી છે.
મે મહિનામાં ગરમીનો પારો 43થી 45 ડિગ્રી થવાની શક્યતાથી હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેથી કલેક્ટરે લોકોને રક્ષણ મળે તે માટે હીટવેવ એક્શન પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન અંતર્ગત જિલ્લાના તમામ સરકારી વિભાગોને સંભવિત અસરો રોકવા જવાબદારી સોંપાઈ છે. જેમાં ડીઇઓને ગરમીને ધ્યાને લઈ સ્કૂલો અને આંગણવાડીના સમયમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવા અને વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ, પાણી ઓઆરએસ ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ છે. ઉપરાંત પાલિકા અને જિલ્લામાં હીટવેવ સમયે ‘શું કરવું અને શું ન કરવું’ તે અંગેનાં પોસ્ટરો-બેનરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર સ્થળે પ્રચાર-પ્રસાર કરાશે. જ્યારે બસ સ્ટેન્ડ અને પ્રવાસન સ્થળે પીવાના પાણી, ઓઆરએસ અને કૂલિંગ શેડની વ્યવસ્થા કરાઈ રહી છે. મહાનગર પાલિકા અને નગર પાલિકા દ્વારા છાશ-લીંબુ પાણીના વિતરણ માટે સંસ્થા-લોકોનો સહયોગ મેળવવા આયોજન કરાયું છે. 7 ક્ષેત્રોમાં હીટવેવની અસર ડામવા વિવિધ વિભાગોને જવાબદારી સોંપાઈ આગામી દિવસોમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા અંગે સૂચના અપાશેગરમીને ધ્યાને લઈ સ્કૂલના સમયમાં ફેરફાર કરવા સૂચના અપાશે. સ્કૂલોમાં ઓઆરએસ-પીવાના પાણી વ્યવસ્થા કરાઈ છે. બાળકોને સ્કૂલના હોલમાં જ રમાડાશે. - મહેશ પાંડે, ડીઈઓ ભાસ્કર એક્સપર્ટ : મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત21મી સુધી પારો 40 ડિગ્રીથી નીચે રહ્યા બાદ 22મીથી ગરમી વધશે19 અને 20 એપ્રિલે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરામાં વાદળો છવાશે, જેથી 21 એપ્રિલ સુધી ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેશે. ત્યારબાદ 22 એપ્રિલથી ગરમીનો પારો વધશે, જે 42 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જ્યારે મે મહિનામાં પારો 43થી 45 ડિગ્રી સુધી પહોંચતાં 3 થી 4 દિવસો દરમિયાન હીટવેવ રહેવાની સંભાવના છે. મહત્ત્વનું છે કે, દર વર્ષે મે મહિનાની શરૂઆતથી જ પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતાં શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે. શહેરમાં હીટવેવના કારણે સ્થાનિક તંત્ર દ્વારા પણ ગાઇડ-લાઇન બહાર પાડવામાં આવતી હોય છે.
કાર્યવાહી:જૂનાગઢ મહાનગરપાલિકા એન્જિનિયર સહિત 3 વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાયો
મનપામાં કામસર ગયેલા મધુરમના આધેડ સાથે ઝપાઝપી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરવાના મામલે પોલીસે ફરિયાદ આધારે પોલીસે મનપાના એન્જિનિયર સહિત 3 સામે એટ્રોસિટીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મધુરમ બાયપાસ રોડ પર આવેલ વૃંદાવનનગરમાં રહેતા કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી (ઉં.વ. 54)ની ફરિયાદ અનુસાર ગત સોમવારે સવારે મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં ગયા હતા જ્યાં તેઓને એન્જિનિયર મશરૂભાઈનું કામ હોય પરંતુ તે ત્યાં હાજર ન હતા અને બાંધકામ ઓફિસમાં એન્જિનિયર પાનસુરીયાભાઈ હાજર હતા અને બીજો એક માણસ અગરબત્તી કરતો હતો. સવારે 11 વાગ્યા હોવા છતાં ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી કરસનભાઈએ ત્યાં વિડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યાં હાજર એક વ્યક્તિ સાથે સમયસર કામ ન થવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ, એન્જિનિયર પાનસુરીયાભાઈ અને તેમની સાથેના અન્ય બે વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય શખ્સોએ 'કેમ અવાર-નવાર અહીં આવી જાવ છો?' તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં કરસનભાઈને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે બુધવારે રાત્રે બી ડિવિઝન પોલીસે આધેડની ફરિયાદ લઈ એન્જિનિયર પાનસુરીયા અને તેની સાથેના બે માણસો વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી. દરમિયાન વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે હાથ ધરી હતી.
અધિકારીઓને સોફ્ટવેર મામલે શંકા:વેરા પહોંચમાં મનપાએ છપાવ્યું કે, ભૂલ ચૂક માફ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યારે ટેક્સ લેવામાં આવતો નથી. કારણ કે નવી સરકારી જીપીસીબી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કંપની હજુ સુધી ઓનલાઇન વેરો કરી શકી નથી. જેના લીધે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ અંગેનો અહેવાલ ભાસ્કરમાં આવ્યા બાદ મનપાના અધિકારીઓએ જે વેરાપોળ છપાવી છે તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે મનપા એક્ટ મુજબ જો પૈસાની લેતી દેતી માં કોઈ ગડબડ થઈ તો તેનું રિફંડ ગ્રાહકને મળી જશે. એટલે અત્યારથી જ અધિકારીઓને આ સોફ્ટવેર મામલે શંકા છે. આ સોફ્ટવેરમાં એવું થવાનું છે કે જો વધારાના પૈસા કપાઈ ગયા તો રિફંડ લેવા માટે મનપાની કચેરીએ ધક્કા ખાવા પડશે. અને જો પૈસા ઓછા ઓછા ભર્યા અને કોઈનું ધ્યાન ન ગયું તો જૂનાગઢ મહાનગરપાલિકા ની તિજોરી ને કરોડોનું નુકસાન જશે.
તંત્ર એલર્ટ:બાળલગ્ન અટકાવવા તંત્ર મેદાને ટીમ બનાવી, નંબરો પણ જાહેર કર્યા
જૂનાગઢ જિલ્લાને બાળલગ્નથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં આવતા શુભ દિવસો તેમજ અખાત્રીજને લઇ તંત્ર એલર્ટ થઇ તાલુકા મુજબ ટીમ બનાવી, ટોલફ્રી નંબરો જાહેર કર્યા છે. અખાત્રીજ તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવ યોજાતા હોય છે. આવા પ્રસંગોએ ખાસ કરીને બાળલગ્નો ન થાય તે માટે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. ખાસ કરીને લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, રસોઇયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફરો, પંડીત સહિતનાઓને જો આવુ જણાય તો જાણ કરવા અથવા તો અટકાવવા ટકોર કરી છે. ઉપરાંત નાગરીકોને પણ પોતાના ગામ, વિસ્તાર કે મહોલ્લામાં બાળલગ્ન થતા જણાય તો સંપર્ક કરવા જણાવ્યુ છે. તંત્ર દ્વારા જિલ્લાના તાલુકા મુજબ ટીમની પણ ફાળવણી કરવામાં આવી છે એમ જણાવ્યુ છે. અહીં ફોન કરી શકાશે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી - 0285 2636546 ચાઇલ્ડ લાઇન - 1098 પોલીસ - 100 મહિલા અભયમ - 181 બાળલગ્નમાં પકડાય તો 1 લાખનો દંડ, 2 વર્ષ કેદની સજા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ- 2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા કરાવવા સજાપાત્ર ગુનો છે. આવા ગુન્હામાં રૂપિયા 1 લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજા છે. બાળલગ્ન કાનુની રીતે જ નહીં સામાજિક દુષણ પણ છેે. બાળકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્ય પર ગંભીર અસર પડે છે એમ જણાવ્યુ છે.
આત્મહત્યા:પતિ સાથે રકઝકથી ડુંગરપુરની મહિલાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે સુભાષનગર -1માં રહેતા 45 વર્ષીય સવિતાબેન બહુકીયાને પોતાના ઘરની નાની બાબતોમાં પતિ સાથે રકઝક થતી હતી. આ બાબતનું લાગે આવતા સવિતાબેને બુધવારે સવારે પોતાના મકાને ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક જૂનાગઢ ખાતેની કાનજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લઈ લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મહિલાના મોતની ઘટના અંગે તાલુકા પોલીસે તેના પુત્ર રવિભાઈનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી હતી. અન્ય એક આવા કિસ્સામાં વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામના 27 વર્ષીય જગદીશ મણવર નામના યુવકે બુધવારે સવારના સમયે ફોટા ના ઘરે મકાનની છતની હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. મૃતકના મોટાભાઈ નવીનભાઈ એ કરતા તાલુકા પોલીસે દોડી જઈને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી કરી હતી. જગદીશભાઈના અંતિમ પગલાં પાછળનું કારણ બહાર નહિ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દર વર્ષે 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ આનુવંશિક રક્તસ્ત્રાવની બીમારી વિશે લોકજાગૃતિ લાવવાનો છે. હિમોફિલિયા એ X-લિંક્ડ રિસેસિવ જિનેટિક રોગ છે, જેમાં લોહી જામવા માટે જરૂરી ફેક્ટર VIII અથવા IX ની ઉણપ હોય છે. આ રોગમાં નાની ઈજા પણ ગંભીર રક્તસ્ત્રાવમાં પરિણમી શકે છે, અને ક્યારેક સાંધા કે માંસપેશીઓમાં આંતરિક રક્તસ્ત્રાવ થવાથી લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. જૂનાગઢ સ્થિત GMERS જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે. હોસ્પિટલમાં દર મહિને અંદાજે 75 જેટલા દર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે, જેમાંથી 25 દર્દીઓ નિયમિતપણે મુલાકાત લે છે. જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને જ હોસ્પિટલ દ્વારા દર્દીઓને 1,25,000 IU ફેક્ટર VIII અને 45,000 IU ફેક્ટર IX પૂરા પાડવામાં આવ્યા હતા. આ સાવચેતી જરૂરી હિમોફિલિયાના દર્દીઓએ ફૂટબોલ કે બોક્સિંગ જેવી જોખમી રમતોથી દૂર રહેવું જોઈએ અને હેલ્મેટ કે ગાર્ડ જેવા રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ઈજાના સમયે RICE પદ્ધતિ (આરામ, બરફ, કમ્પ્રેશન, એલિવેશન) અપનાવવી જરૂરી છે. જોકે આ જીવનભર રહેતી સ્થિતિ છે,
જૂનાગઢ મહાનગરપાલિકામાં ગત વર્ષોની વણવપરાયેલ ગ્રાન્ટ અને ચાલુ વર્ષની નવી ગ્રાન્ટ મળીને કુલ 30.18 કરોડ રૂપિયાના વિકાસ કામોનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22 થી 2023-24 સુધીના ત્રણ વર્ષ દરમિયાન મનપાની તિજોરીમાં આશરે 7.09 કરોડ રૂપિયા વપરાયા વગરના પડી રહ્યા હતા. આ વણવપરાયેલ રકમમાં હવે વર્ષ 2024 25 અને 2026 ની નવી આવેલી 23.09 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉમેરો કરીને શહેરના વિવિધ પ્રોજેક્ટ્સને વેગ આપવા કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. તંત્ર દ્વારા તૈયાર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 21 થી 24 ના વણવપરાયેલ 7.09 કરોડનો ઉપયોગ મુખ્યત્વે કચરાના નિકાલ અને અમૃત યોજનાના જૂના કામોમાં થશે. જ્યારે વર્ષ 24થી 26 ના જે નવા 23 કરોડ આવ્યા છે, તેમાંથી રોડ રિસરફેસિંગ, સીસીટીવી કેમેરા, રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન અને વોકળા સફાઈ જેવા કામો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને અમૃત 2.0 યોજના માટે સૌથી મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. લાંબા સમયથી પડેલી ગ્રાન્ટ હવે લેપ્સ ન થાય અને જનતાની સુવિધામાં વપરાય તે હેતુથી સ્થાયી સમિતિએ આ સંયુક્ત આયોજનને મંજૂરી આપી છે જૂની એજન્સીની મુદત વધારી:ડોર ટુ ડોર કલેક્શનમાં નવી એજન્સી ન આવે ત્યાં સુધી હાલની એજન્સીથી કામ ચલાવાશે. , બે એજન્સીઓ બ્લેકલિસ્ટ: સમયસર કામગીરી કરવામાં નિષ્ફળ રહેલી સ્વસ્તિક કન્ટ્રકશન અને ડી.એમ. મકવાણા સામે શિક્ષાત્મક બ્લેક લિસ્ટ ના પગલાં., વધારાના આર્થિક ખર્ચની મંજૂરી:નિવૃત્ત અને હંગામી કર્મચારીઓના પગાર તેમજ મેડિકલ ખર્ચ પેટે મનપાની તિજોરી પર બોજ વધશે., વર્ષ 21-22 થી લઇ અત્યાર સુધીની સાત કરોડની ગ્રાન્ટ પડી રહી હતી. આયોજનના અભાવે આ ગ્રાન્ટ સત્તાધીશો વાપરી શક્યા ન હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને નવનિર્મિત નરસિંહ મહેતા સરોવરને હવે પર્યટન ઉપરાંત આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ, સરોવર ખાતે પ્રી-વેડિંગ શૂટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જૂનાગઢના યુવા યુગલોને હવે શૂટિંગ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં રહે, ઘરઆંગણે જ અત્યંત સુંદર અને નયનરમ્ય લોકેશન મળી રહેશે. સ્થાયી સમિતિએ પ્રી-વેડિંગ શૂટિંગ માટે 3 કલાકના માત્ર રૂ. 5000 જેવો વ્યાજબી દર નક્કી કર્યો છે, જે ખાનગી સ્ટુડિયો કે રિસોર્ટ્સની તુલનાએ ઘણો ઓછો છે. સરોવર ખાતે બનેલા ભવ્ય એમ્ફીથિયેટરને પણ કલા-સંસ્કૃતિના પ્રોત્સાહન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે સ્થાનિક ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને જૂનાગઢનું પર્યટન ક્ષેત્રે નામ વધુ રોશન થશે. આ ઉપરાંત સરોવરમાં આવેલું એમ્ફી થિયેટરમાં સ્થાનિક કલાકારો માટે ત્રણ કલાકના 4000 ભાવ રાખવામાં આવ્યો છે. વેસ્ટ ટુ ચાર્કોલ પ્લાન્ટ: શૂન્ય ખર્ચે પીપીપી ધોરણે 200 ટન કચરામાંથી ચાર્કોલ બનાવવાનો પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ કાર્યરત થશે. , નરસિંહ મહેતા તળાવ-વાંચન પ્રવૃત્તિ: મુક્તધારા ફાઉન્ડેશન સાથે એમઓયુ કરી તળાવ કિનારે લોકો માટે વાંચન અભિયાન વેગવંતુ બનશે. , રેઈનવોટર હાર્વેસ્ટીંગ ઝુંબેશ: આગામી ચોમાસા પૂર્વે જળ સંચય માટે એજન્સીઓ નક્કી કરી અમલીકરણ માટેની દરખાસ્ત મંજૂર કરાઈ., મધુરમ હોકર્સઝોન કાર્યરત:નાના વેપારીઓ સ્વમાનભેર ધંધો કરી શકે તે માટે નીતિ-નિયમો મંજૂર કરાયા
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી રેકોડબ્રેક 1274 બોક્સ કેરીની આવક નોંધાઈ છે.યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાની કેરીની આવક નોંધાતા પ્રતિબોક્સના રૂ.100 થી 300 નો ભાવ વધારો નોંધાયો છે હાલ યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1350 થી 2300 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે.બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં ગુરુવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1274 બોક્સ એટલે કે 12740 કિલો કેસર કેરીની આવક થઈ હતી.યાર્ડમાં હાલ કેસર કેરીની સિઝન શરૂ થતાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત કેરીની આવક શરૂ થઈ છે જેથી પ્રતિબોક્સના રૂ.100 થી 300 નો ભાવ વધારો નોંધાયો છે હાલ યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1350 થી 2300 ભાવ બોલાયા હતા.યાર્ડમાં હાલ કેરીની આવક વધી છે તેમછતાં ભાવમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીના બોક્સના રૂ.1200 થી 1700 ભાવ બોલાતા હતા ત્યારે પોરબંદરના યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત કેરીની આવક શરૂ થતાં હાલ રૂ.1350 થી 2300 પ્રતિબોકસે રૂ.1350 થી 2300 ભાવ બોલાયા છે ત્યારે હાલ પ્રતિબોકસે રૂ.150 થી 300 ભાવ વધ્યા હતા.
સારવાર:નવીબંદરની સગર્ભાની 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી
પોરબંદરની નવીબંદર ગામની સગર્ભાને બળેજ ગામની 108ની ટીમ હોસ્પિટલ રીફર કરતી હતી તે દરમ્યાન રસ્તામાં જ પ્રસૂતાની પીડા ઉપડતા 108ની ટીમે જ એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી. આધુનિક જીવનશેલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોઇ છે. જેમની ઍક સેવા પોરબંદર બળેજ 108 ને માનવામાં આવે છે. બળેજ 108 એમ્બ્યુલન્સની ટીમે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે.પોરબંદરની નવી બંદર ગામની એક સગર્ભાને પ્રસૂતાની પીડા ઉપડતા પરિવારજનોએ 108ને જાણ કરી હતી.જેથી બળેજ ગામની 108ની ટીમ સ્થળ પર પહોંચી હોસ્પિટલ રીફર કરી રહ્યા હતા તે દરમ્યાન જ રસ્તામાં સગર્ભાને પ્રસૂતાને પ્રસુતિની પીડા વધી જતાં બળેજ 108 ના EMT ભનુંભાઈ મોકરીયા અને પાયલોટ અતુલભાઇ કરગથિયા તાત્કાલિક સગર્ભાની એમ્બ્યુલન્સ જ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ નોર્મલ ડિલિવરી કરાવી પુત્રનો જન્મ થયો હતો, ત્યારે બાદ પ્રાથમીક સારવાર આપી પોરબંદરની લેડી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ઠગાઈ:પોરબંદરના શિક્ષક સહિત 12 યુવાનો સાથે રૂ.72.50 લાખની છેતરપિંડી આચરી
કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી કુલ રૂ.72.50 લાખ લઈ લીધા બાદ છેતરપિંડી કરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. કેનેડાનો રવી સેરુ નામનો આરોપી તથા રાજસ્થાનના જયપુરની શુભ્રા આચાર્ય નામની આરોપીએ સાથે મળી ગુન્હાહિત કાવતરુ રચ્યું હતું અને પોરબંદરના સુતારવાડા શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ જયેશભાઈ હિંડોચા નામના શિક્ષકને વર્ક વિઝા, એજ્યુકેશન વિઝા અને વિઝિટર વિઝા વિશે માહિતી આપી પોતાની ઓપોર્ચ્યુનિટી ઇન્ટરનેશનલ સાથે જોડાવાની વાત કરી વિઝા ફાઇલ કરાવાની કામગીરીથી સારી આવક મળી શકે તેમ સમજાવી પોતાની સંસ્થા સાથે જોડાવાની ઓફર કરી વિશ્વાસમાં લીધા હતા. પોરબંદરમાંથી કુલ 12 ક્લાયન્ટને યુ.કે., ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી જેથી શિક્ષકે આરોપી શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં તમામ ક્લયાન્ટની ફી પેટે બેન્કથી ટ્રાન્સફર, આંગણીયા મારફત તેમજ સાહેદ તેજલબેન ઓડેદરાના ભાઇ દ્વારા શુભ્રાના એકાઉન્ટમાં અને યુ.કે.માં શુભ્રા આચાર્યના બીઝનેશ પાર્ટનરને રોકડા ઉપરાંત રાજદીપભાઇ ઓડેદરા દ્વારા શુભ્રા આચાર્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર એમ તમામ રકમ મળી કુલ રૂ.72.50 લાખ મોકલ્યા હતા. આરોપીઓ દ્વારા તમામ રકમ મેળવી લીધી હતી અને આરોપી શુભ્રા આચાર્ય દ્વારા કલ્યાન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઇનવોઇસીસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા બનાવી એપ મારફત મોકલી ક્લાઈન્ટોને તથા શિક્ષક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે અંગે શિક્ષકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
મતદારોમાં અસંતોષ:પોરબંદર મનપાની બેઠકો બિનહરીફ થતા લોકશાહીનો તહેવાર પહેલા જ ફિક્કો પડ્યો
પોરબંદર મનપાની ચૂંટણી પહેલા જ લોકશાહી પર્વની ઉજવણી ફિક્કી પડી હોવાનું પ્રબુધ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. બેઠકો બિનહરીફ થતા 2 વોર્ડમાં ચૂંટણી નહીં થાય જેથી મતદારોને વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં મત આપવાનો અધિકારની તક આ વખતે નહીં મળે. પોરબંદરમાં મનપાની ચૂંટણીમાં આ વખતે 13 વોર્ડની કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉલ્લેખનીય છેકે, લોકશાહીમાં મતદાનનું મહત્વ જ રહેલું છે. મત આપવાનો મતદારોનો અધિકાર છે. કોને મત આપવો અને કોણ સ્થાનિક લેવલ કામગીરી કરશે તેના પર મતદારો જે તે પક્ષના ઉમેદવારને મત આપી ચૂંટી કાઢતા હોય છે. મજબૂત લોકશાહી માટે વધુ મતદાન થાય તે માટે તંત્ર અને સંસ્થાઓ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરે છે ત્યારે ખાસ કરીને મનપાની 13 વોર્ડની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં તમામ બેઠક બિનહરીફ થતા આ વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા નહીં થાય. આ બંને વોર્ડમાં પ્રજાને મતદાન કરવાની તક મળતી નથી, જે લોકશાહીના મૂળ સિદ્ધાંતને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે છે. પ્રબુધ્ધ નાગરિકોએ જણાવ્યું હતુ કે, મતદારોમાં એ વાતને લઈને અસંતોષ છે કે, તેઓ પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયામાંથી વંચિત રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, બિનહરીફ બેઠકો લોકશાહી માટે સકારાત્મક સંકેત નથી. જ્યાં પ્રજાને મતદાનનો મોકો મળે અને સ્પર્ધા થાય ત્યાં જ સાચી લોકશાહી મજબૂત બને છે.
સ્થાનિકોમાં રોષ:સુભાષનગરમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. પીવાનું પાણી 5 દિવસથી વિતરણ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં સ્થાનિકોનાં ઘરોમાં ખાલીખમ પાણીની ટાંકીઓ અને ખાલીખમ પાણીના બેરલો નજરે ચડે છે. પોરબંદરમાં ઉનાળા દરમ્યાન પાણીની પળોજણ શરૂ થઈ છે. પીવાનું પાણી નિયમિત ન આવતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 12 હજાર જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. સ્થાનિકોએ જણાવ્યું હતુકે, સુભાષનગરમાં દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ પીવાના પાણીનો વારો હતો તે દિવસે પાણી વિતરણ ન થયું અને બીજા દિવસે પણ પાણી વિતરણ ન થયું. આમ 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતાં સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. હજુ તો ઉનાળો બાકી છે અને આ દરમ્યાન જ પીવાના પાણી વિતરણની સમસ્યા સર્જાણી છે. સ્થાનિકોએ જણાવ્યું હતુકે, ઘર બહાર રાખેલ પીવાના પાણીની ટાંકીઓ અને બેરલો ખાલીખમ બન્યા છે. મનપા દ્વારા પીવાના પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરી નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. પાણી વેચાતું લેવાનો વારો આવ્યો સુભાષનગરમાં સ્થાનિકોએ જણાવ્યું હતુકે, મનપા દ્વારા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. ઉનાળા દરમ્યાન પાણી વધારે પીવાતું હોય છે અને આ ઋતુમાં પુષ્કળ પાણી પીવું જોઈએ તેવું ડોક્ટરો સલાહ આપે છે, પરંતુ પીવાનું પાણી વિતરણ ન થતા સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
કાર્યવાહી:સમુદ્રમાં એલઈડી લાઇટ રાખી ફિશીંગ કરતી બોટ સામે કાર્યવાહી
સમુદ્રમાં લાઇન ફિશીંગ, લાઈટ ફિશીંગ, ઘેરા ફિશીંગ કરવા પર પ્રતિબંધ છે, ત્યારે સમુદ્રમાં લાઈટ ફિશીંગ કરતી બોટ સામે મિયાણી મરીન પોલીસે કાર્યવાહી કરી એક શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા આપેલ સૂચના અનુસંધાને મિયાણી મરીન પોલીસ દ્વારા ચેકીંગ દરમ્યાન કાંટેલા ગામ સામે દરિયામાં ખારવાવાડ પાલાના ચોકમાં રહેતો નરેશ દેવા હોદ્દાર નામના શખ્સની પોતાના કબ્જા હવાલા વાળી નારાયણ સાગર નામની IND GJ 25 MO 4413 નંબરની ફિશીંગ બોટમાં બિન અધિકૃત રીતે એલ.ઇ.ડી. લાઇટોના અજવાળે ગેરકાયદેસર માછીમારી કરતો હતો. પોલીસે ગુજરાત મત્સ્યધોગ અધિનિયમ 2023ના કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી મિયાણી મરીન પોલીસ ચલાવી રહી છે.
આધુનિક જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણીના કારણે હાલ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને શહેરવાસીઓને સમયસર સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી જીવલેણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સૌથી સરળ ઉપાય વોકિંગ છે ટ્રસ્ટ દ્વારા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ વોકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. પોરબંદરની ચોપાટી, રિવરફ્રન્ટ અને બાગ-બગીચા જેવી જગ્યાઓ વોકિંગ માટે ઉત્તમ છે. નિયમિત ચાલવાથી હાર્ટ મજબૂત બને છે, વજન નિયંત્રિત રહે છે અને તણાવમાં ઘટાડો થાય છે. કોલેસ્ટ્રોલ વધારવાનું મુખ્ય કારણ શું ? આહાર અને જીવનશૈલીમાં ફેરફાર થવો, ખાસ કરીને જંકફૂડ, તેલિયું અને મીઠાઈઓનું વધુ સેવન કોલેસ્ટ્રોલ વધારવાનું મુખ્ય કારણ છે. તેના બદલે તાજા શાકભાજી, ફળો, પૂર્ણઅનાજ અને પ્રોટીનયુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવી છે. પૂરતી ઊંઘ, યોગ-ધ્યાન અને નિયમિત ચેકઅપ પણ જરૂરી છે. કોલેસ્ટ્રોલ: સાઈલન્ટ કિલર કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી ચરબીયુક્ત પદાર્થ છે, પરંતુ તેની માત્રા વધે તો તે રક્તનાળીઓમાં જમા થઈને અવરોધ સર્જે છે. ખાસ કરીનેખરાબ કોલેસ્ટ્રોલ વધે ત્યારે હૃદય સુધી રક્તપ્રવાહમાં વિઘ્ન આવે છે, જે ગંભીર હાર્ટ ડિસીઝનું કારણ બની શકે છે.
ફરિયાદ:મહિયારી ગામે દારૂના વેચાણમાં મદદ કરવાની ના પાડતા માતા - પુત્ર પર બુટલેગરે હુમલો કર્યો
ઘેડ પંથકના મહિયારી ગામે એક બુટલેગરે એક યુવાનને દારૂ વેચવા માટે મદદ કરવા માટે કહ્યું હતું જેથી યુવાને મદદ કરવાની ના પાડી દેતા જેમના મનદુઃખને લઈને યુવાન અને તેમની માતા પર આ બુટલેગરે હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની મળતી વિગતો અનુસાર મહિયારી ગામે રહેતા સોલંકી વિજય માલદે નામના યુવાનને થોડા દિવસ પૂર્વે ગામના એક બુટલેગરે દારૂ વેચાણ કરવા માટે જણાવ્યું હતું જેથી આ યુવાને દારૂ વેચાણ કરવાની ના પાડી દીધી હતી.જેના મનદુઃખને લઈને સોલંકી વિજય માલદે તેમના ઘરે હતો ત્યારે બુટલેગર કરણ પરબત અને તેમના પુત્ર બંને ઘર નજીક આવી અને આ યુવાન પર પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વચ્ચે પડેલ યુવાનને માતા સોલંકી મંજુબેન માલદે પર પણ હુમલો થયો હતો.આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘર બહાર બેઠો હતો ત્યારે હુમલો કર્યોહું મારા ઘરની બહાર બેઠો હતો ત્યારે કરણ પરબત અને તેમનો છોકરો આવ્યો અને હુમલો કરી દીધો હતો જેમાં મારા માતા વચ્ચે પડતા તેમની પર હુમલો કર્યો હતો.15 દિવસ પહેલા કરણે અમને દારૂ વેચાવા કહ્યું હતું જે અમે ના પાડી દેતા આ હુમલામાં કર્યો છે. > વિજય માલદે,ઈજાગ્રસ્ત
નિક વેપારીઓને ભારે મુશ્કેલી:લીમડા ચોકમાં 2 માસથી તૈયારશૌચાલયને તાળા લગાવી દેવાયા
પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં સોચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મનપા દ્વારા લીમડા ચોક વિસ્તારમાં પણ સોચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.આ સોચાલય તૈયાર થઈ ગયાના 2 માસ જેવો સમય થઈ ગયો હોવાછતાં મનપા દ્વારા સોચાલય અલીગઢના તાળા લગાવી રાખવામાં આવ્યા છે જેથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેર સોચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પોરબંદર મનપા દ્વારા શહેરના લીમડા ચોક માર્કેટ પાસે પણ સોચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ત્યારે આ સોચાલય તૈયાર થઈ ગયા બાદ પણ છેલ્લા 2 માસથી મનપા દ્વારા અલીગઢના તાળા લગાવી દેવામાં આવ્યા છે જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી.તેમછતાં સોચાલય ખુલ્લું મુકવામાં આવ્યું ન હતું. લોકાર્પણ થયે તાળા ખુલશે તેવી ચર્ચા પોરબંદરના લીમડા ચોક નજીક બનાવવામાં આવેલ સોચાલયને 2 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે ત્યારે કોઈ મહાનુભાવના હસ્તે લોકાર્પણ થયા બાદ જ મનપા આ સોચાલય તાળા ખોલશે તેવી સ્થાનીક વેપારીઓમાં ચર્ચા જાગી છે .
કરૂણાંતિકા:યુરિયા ખાતર ખાઇ જતા પરિણીતાનું સારવારમાં મોત
રાણાવાવના ભોદના પાટિયા પાસે વાડી વિસ્તારમાં રહતી એક પરપ્રાંતીય પરણિતાએ કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાનું યુરિયા ખાતર ખાઇ લેતા આ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશ અને હાલ રાણાવાવના ભોદ ગામના પાટિયા પાસે ભીમભાઇ ખુંટીની વાડીએ મજૂરીકામ કરવા આવેલ અનુ ઉર્ફે અનુબાઈ અનિલ ભુરીયા નામની 20 વર્ષીય પરણિતાએ ગત તા.15/4ના રોજ ખેતરમાં કામ કરતી હતી તે દરમ્યાન આ મહિલાએ ખેતરમાં છાંટવાનુ યુરિયા ખાતર ખાઇ જતા આ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાનું મોત થયું છે. આ પરિણીતાના મોતને પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવ અંગે પરણિતાએ અગમ્ય કારણસર આપઘાત કર્યો હોવા અંગેની તેણીના પતિ અનિલ કૈલાશભાઈ ભૂરિયાએ પોલીસ ચોપડે નોંધાવતા પોલીસે આ બનાવ અંગે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા ચલાવી રહ્યા છે.
બળવાખોરો સામે કાર્યવાહી:ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસ-અપક્ષ ઉમેદવારી કરી, 11 સસ્પેન્ડ
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકામાં ભાજપમાંથી બળવો કરીને અપક્ષ અથવા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા 11 કાર્યકર્તાઓને ભાજપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો.બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા આ અંગેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં ભાજપના 40 ઉમેદવારો બિનહરીફ ચુંટાઈ આવતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ડો. રૂત્વિજ પટેલની આગેવાનીમાં ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કાર્યકરોએ ઉજવણી કરી હતી. જ્યારે આ પ્રસંગે રૂત્વિજ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ લોકો કરાયા સસ્પેન્ડ સહિત કાર્યકરોએ ઉજવણી કરી હતી. જ્યારે આ પ્રસંગે રૂત્વિજ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

32 C