રાજકોટ શહેરમાં વ્યવસાયિક એકમોમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. આજે જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર (પશ્ચિમ) અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા જે.કે. ચોક અને યુનિવર્સિટી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ્સ, ટી-સ્ટોલ અને નાસ્તા હાઉસમાં ઘરેલું સિલિન્ડરના વપરાશ બાબતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે.કે. ચોક ખાતે આવેલ કૈલાશ ફરસાણ સ્ટોરમાં ઘરેલું સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું, જેના પગલે ઇન્ડેન કંપનીના 3 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નકલંક હોટલ સામે આવેલા શ્રીહરી ફાસ્ટફૂડ સ્ટોરમાંથી પણ 1 ઘરેલું સિલિન્ડર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ 4 ઘરગથ્થુ સિલિન્ડર જપ્ત કરી ગેસ એજન્સીમાં જમા કરાવવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તમામ હોટલ અને ફાસ્ટફૂડ સ્ટોરના માલિકોને નિયમોનું પાલન કરવા અને કોમર્શિયલ હેતુ માટે માત્ર વ્યવસાયિક સિલિન્ડરનો જ ઉપયોગ કરવા કડક સૂચના આપી સમજૂતી આપવામાં આવી હતી. રાજકોટમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, કાળઝાળ ગરમીને પગલે નિર્ણય રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે જ તાપમાનનો પારો ઊંચકાતા નાગરિકોને હીટવેવથી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉગ્ર ગરમી પડવાની શક્યતાને જોતા હીટ વેવ એક્શન પ્લાન અંતર્ગત હવેથી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બપોરે 1:00 થી 4:00 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને બપોરના આકરા તડકામાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવાનો અને લૂ લાગવાની ઘટનાઓ અટકાવવાનો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન જરૂરિયાત મુજબ પોલીસ દ્વારા કરવામાં આવશે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને અપીલ કરાઈ છે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને જો બહાર જવું અનિવાર્ય હોય તો માથું છત્રી કે રૂમાલથી ઢાંકવું. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની વિશેષ સંભાળ રાખવી અને જો ચક્કર કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા પણ આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે. ગેસની અછત વચ્ચે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ સેવાની પરંપરા જાળવી રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કાર્યરત બોલબાલા ટ્રસ્ટ દ્વારા હાલમાં સર્જાયેલી ગેસની અછત વચ્ચે પણ માનવસેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરની તંગીને કારણે રસોઈ બનાવવામાં મુશ્કેલી પડતા ટ્રસ્ટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાકડાની મદદથી ચુલા ઉપર રસોઈ બનાવવા શરૂઆત કરી છે. સંસ્થા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એક પણ મનુષ્ય ભૂખ્યો ન રહે અને ત્રણ ટાઈમ રસોડું ધમધમતું રહે. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, હાલમાં ગેસની અછતને કારણે દાળ, ભાત અને શાક જેવી વાનગીઓ ચુલા પર બનાવવામાં આવે છે, જ્યારે હળવો નાસ્તો, ચા અને રોટલી ગેસ પર તૈયાર થઈ રહી છે. સંસ્થા પાસે 10 કોમર્શિયલ અને 6 ઘરેલુ ગેસ રિફિલની સુવિધા હોવા છતાં પણ અછતને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. દરરોજ રેન બસેરા, હોસ્પિટલો અને બાંધકામ સાઈટ સહિતના વિસ્તારોમાં વાહનો મારફત 3000 થી વધુ જરૂરિયાતમંદોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. નોંધનીય છે કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અન્નક્ષેત્ર અવિરત ચાલ્યું હતું. હાલમાં ગેસની અછતને કારણે અનેક હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, ત્યારે બોલબાલા ટ્રસ્ટે લાકડાના ચુલા પેટાવીને પણ પોતાની સેવાની પરંપરા જાળવી રાખી છે. રાજકોટના રિંગ રોડ-2 પર રિસર્ફેસિંગ કામગીરી, વાહન ચાલકો માટે નવા ટ્રાફિક ડાયવર્ઝન જાહેર રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ હસ્તકના રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડથી ભાવનગર રોડ) પર રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન અકસ્માતો નિવારવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા કલેક્ટર એન. કે. મુછાર દ્વારા કોરાટ ચોકથી કાળીપાટ ચોક સુધીના માર્ગ પર ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ભારે અને હળવા વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.નવા જાહેરનામા મુજબ, ભારે વાહનોના ચાલકો 05 જૂન, 2026 સુધી NH-27 (કોરાટ ચોકથી આજી ડેમ ચોક) અને SH-25 રાજકોટ-ભાવનગર રોડ (આજી ડેમ ચોકથી કાળીપાટ ચોક)નો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકશે. હળવા વાહનો માટે બે તબક્કામાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20 માર્ચ, 2026 સુધી લાપાસરીથી વડાળી ચોકડી અને ત્યારબાદ 20 માર્ચથી 25 એપ્રિલ, 2026 સુધી વડાળીથી કાળીપાટ ચોકડીના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશ 09 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે, જોકે પોલીસ - ઈમરજન્સી સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજકોટમાં કોમર્શીયલ ગેસની અછતથી 3500 થી વધુ ફરસાણના વેપારીઓ મુશ્કેલીમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરો હવે રાજકોટના સ્થાનિક બજારમાં વર્તાવા લાગી છે. દેશભરમાં કોમર્શીયલ અને ઘરેલુ ગેસના પુરવઠાની અછત સર્જાતા ઉદ્યોગો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. રાજકોટમાં અંદાજે 3500 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે, જેમાંથી 80 ટકા દુકાનોમાં ગેસના અભાવે તાવડા બંધ થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ફરસાણ એસો.નાં પ્રમુખ પંકજ જોબનપુત્રાની આગેવાનીમાં વેપારીઓએ કલેકટર કચેરી ખાતે દોડી જઈ જિલ્લા પુરવઠા અધિકારી ઝાપડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાલ ગેસનો પુરવઠો ખોરવાતા નાના વેપારીઓ - કારીગરો પર બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે. એક તરફ સત્તાવાર પુરવઠો બંધ છે,બીજી તરફ કોમર્શીયલ અને રાંધણ ગેસના સિલિન્ડરો કાળાબજારમાં મળી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દરવર્ષે જન્માષ્ટમી જેવા તહેવારોમાં વહીવટી તંત્રને સહયોગ આપી રાહત દરે ફરસાણ વેચતા આ વેપારીઓએ અત્યારે મુશ્કેલ સમયમાં તંત્ર પાસે વૈકલ્પિક ગેસ પુરવઠાની વ્યવસ્થા કરવાની તાતી માંગ કરી છે. માર્કેટ યાર્ડમાં શિયાળુ પાકની મબલખ આવક, ઘઉંની આવકે 1 લાખ મણની સપાટી વટાવી માર્કેટ યાર્ડમાં હાલ શિયાળુ પાકની સિઝન પૂરજોશમાં જામી છે. ખાસ કરીને હોળાષ્ટક પૂર્ણ થયા બાદ યાર્ડમાં ખેત પેદાશોની ભારે આવક જોવા મળી રહી છે, જેના કારણે યાર્ડના મેદાનમાં માલના જંગી ઢગલા ખડકાયા છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઘઉંની આવક 1,00,000 મણની ઐતિહાસિક સપાટીને પાર કરી ગઈ છે. એક જ દિવસમાં 1.20 લાખ મણ ઘઉંની આવક નોંધાતા વેપારીઓ અને તંત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. ક્વિન્ટલના હિસાબે જોઈએ તો આશરે 25,000 ગુણી ઘઉં ઠલવાયા છે. યાર્ડમાં માલ રાખવાની જગ્યા ન રહેતા અને મગફળી જેવી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા ઘઉંની નવી આવક પર હાલ બ્રેક મારવામાં આવી છે. હરરાજી દરમિયાન ઘઉંના ભાવ પ્રતિ મણ રૂ. 490 થી રૂ. 570 સુધી બોલાયા હતા. ઘઉં ઉપરાંત અન્ય પાકોમાં પણ સારી આવક જોવા મળી હતી. યાર્ડમાં ચણાની 31,800 મણ, મેથીની 9,700 મણ અને વટાણાની 9,800 મણની જંગી આવક નોંધાઈ હતી. આ સિવાય રાયડો 5,000 મણ, કપાસ 5,000 મણ, મગફળી 4,800 મણ અને લસણની 2,800 મણ આવક ઠલવાઈ હતી. ચારેતરફ માલની આવક વધતા યાર્ડમાં શિસ્તબદ્ધ રીતે હરરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે, છતાં જગ્યાના અભાવે ખેડૂતોને નવી આવક માટે રાહ જોવી પડી શકે છે.
વડોદરા શહેરમાં બિઝનેસ લોન અપાવવાના બહાને ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ રૂપિયા 12.08 લાખ પડાવીને છેતરપિંડી આચરી છે. આ મામલે 3 આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર નજીક સેવાસી રોડ સ્થિત ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી યશુ ભગવાનદાસ જિંદાલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ શહેરના વાઘોડીયા રોડ વિસ્તારમાં આવેલી પોતાની “સાલાસર મેટલ્સ” નામની કંપની ચલાવે છે. નવેમ્બર 2024 દરમિયાન તેમને એક ફાઇનાન્સ કંપની તરફથી વનિતાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં કંપની દ્વારા બિઝનેસ માટે રૂ.6.25 કરોડ સુધીની લોન આપવાની વાત કરવામાં આવી હતી. આ અંગે વધુ ચર્ચા કરવા તેમને વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા ગ્લેસિયર કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસે ગયા હતા. ત્યાં કંપનીના પ્રતિનિધિઓએ લોન પ્રક્રિયા, સ્થળ વેરીફિકેશન અને પ્રોસેસિંગ ફી સહિતના ખર્ચના નામે વિવિધ તબક્કામાં રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી દ્વારા તા.5 ડિસેમ્બર 2024ના રોજ ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂ.5 લાખ તથા તા.6 ડિસેમ્બર 2024ના રોજ રૂ.1.50 લાખ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતા ભાવના ગજાનંદ ભટ્ટના ખાતામાં તા.27 ડિસેમ્બર 2024ના રોજ રૂ.3 લાખ અને તા.28 ડિસેમ્બર 2024ના રોજ રૂ.50 હજાર રૂપિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ વેરીફિકેશનના બહાને શ્રેયશ ઉર્ફે સાહીલ મીઠા નામના કર્મચારીને રૂ.2 લાખ તથા અન્ય ખર્ચના નામે રૂ.8 હજાર આપવામાં આવ્યા હતા. તેમજ કંપનીના મેનેજર જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ રમણભાઈ સોનીને રૂ.2.40 લાખ રોકડ ચૂકવવામાં આવ્યા હતા. આ રીતે ટુકડે ટુકડે અને અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ રૂ.14.48 લાખ લેવામાં આવ્યા હતા. જેમાંથી બાદમાં જિગ્નેશભાઈ સોનીએ રૂ.2.40 લાખ પરત આપ્યા હતા. બાકી રહેલા રૂ.12.08 લાખ આજદિન સુધી પરત આપ્યા નહોતા અને લોન પણ મંજૂર કરાવી આપી નહોતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વડોદરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સંગઠિત રીતે લોન અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા હોય પોલીસે ખાનગી કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસે સતર્કતા દાખવી છે. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શહેરના પેટ્રોલ પંપ અને એલપીજી ગેસ એજન્સીના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસે સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને ખોટી અફવાઓ ન ફેલાય તેની તકેદારી રાખવા અને પેટ્રોલ-ડિઝલ તેમજ એલપીજી ગેસનો સંગ્રહ ન થાય તે માટે ધ્યાન રાખવા સૂચના આપી હતી. પીઆઈ પલાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ સંગ્રહખોરી કરતો ઝડપાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સામાન્ય લોકોને પેટ્રોલ, ડિઝલ અને એલપીજી ગેસ સરળતાથી મળી રહે તે માટે સંચાલકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી. આ બેઠકમાં પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને શહેરના વિવિધ પેટ્રોલ પંપ તેમજ ગેસ એજન્સીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
પાટડીના બિસ્માર રોડ માટે ₹9.50 કરોડ મંજૂર:નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડનું નવીનીકરણ થશે
પાટડી તાલુકાના નવરંગપુરા-ઉપરિયાળા-પોરડા-મોટી મજેઠી રોડને રૂ. 9.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી મળી છે. આ રોડના મેટલીંગ, ડામરકામ, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિશીંગના કામ માટે રૂ. 950 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ રોડ પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે નવરંગપુરા, ઉપરિયાળા, પોરડા અને મોટી મજેઠી ગામોના લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઉપરિયાળા ગામ જૈન સમાજનું એક મહત્વનું તીર્થસ્થાન હોવાથી અહીં શ્રદ્ધાળુઓની અવરજવર પણ વધુ રહે છે. બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય પી. કે. પરમારને પણ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆતો કરાઈ હતી. ધારાસભ્ય પી. કે. પરમારની રાજ્ય સરકાર સમક્ષની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીથી આ વિસ્તારની વર્ષો જૂની બિસ્માર રસ્તાની સમસ્યાનો સુખદ અંત આવશે અને આગામી દિવસોમાં રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે.
વેરાવળમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદ:SOG અને ફૂડ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની ફરિયાદો મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે SOG પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે શહેરના સટ્ટા બજાર વિસ્તારમાં એક તેલના વેપારીને ત્યાં દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી SOG પોલીસે ફૂડ વિભાગ સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ભેળસેળયુક્ત દૂધ અને તેલની બનાવટો દ્વારા લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે તાલાલાના વાડી વિસ્તારમાં પણ SOG પોલીસે ફૂડ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તે સમયે આશરે ૧૬,૦૦૦ કિલોગ્રામ શંકાસ્પદ કેરીનો રસ મળી આવ્યો હતો, જે બે વર્ષ જૂનો હોવાનું અને લગ્નની સિઝનમાં વેચવા માટેનો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર્યવાહી પણ ભેળસેળ અટકાવવાના વ્યાપક અભિયાનનો એક હિસ્સો હતી.
સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતા જ વહીવટદાર શાસનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વહીવટદાર મિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળતાની સાથે જ આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે, હવે ટેબલ વર્ક કે AC કેબિનમાં બેસવાનુ છોડો અને તમામ અધિકારીઓએ ફિલ્ડ પર જઈને લોકોની સમસ્યાઓ ઉકેલવી પડશે. અધિકારીઓએ ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશેમિલિંદ તોરવણેએ ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમણે ઝોનલ વડાઓ અને વિભાગીય વડાઓ સાથે લાંબી 'મેરેથોન બેઠક' યોજીને શહેરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ તેમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટદારે અધિકારીઓને તાકીદ કરી છે કે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓએ પોતે ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવું પડશે. ખાલીખમ ઓફિસો અને ગરમીમાં ફિલ્ડવર્કવહીવટદારના આ કડક આદેશની અસર બીજા જ દિવસથી જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના મુખ્ય મથક એવા 'શ્રી તાપી ભવન' ખાતે મોટાભાગના અધિકારીઓની ઓફિસો સવારથી જ ખાલીખમ જોવા મળી હતી. 'ફિલ્ડ વિઝિટ વગરની કોઈ કામગીરી સ્વીકારાશે નહીં'જે અધિકારીઓ અત્યાર સુધી એર-કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને માત્ર રિપોર્ટો જોતા હતા, તેઓ હવે કાળઝાળ ગરમીમાં પણ ફિલ્ડ પર જઈને કામગીરીની સમીક્ષા કરતા નજરે પડ્યા હતાં. વહીવટદારે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્ડ વિઝિટ વગરની કોઈ પણ કામગીરીને સ્વીકારવામાં આવશે નહીં. ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચનાવહીવટદારે આગામી દિવસો માટે મુખ્ય ત્રણ મોરચે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી છે. આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને શહેરને ચકાચક રાખવા સૂચના અપાઈ છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સફાઈ પ્રત્યે વિશેષ તકેદારી રાખવા અને ત્યાંની સફાઈ વ્યવસ્થામાં સુધારો કરવા પર ભાર મૂક્યો છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનોની સફાઈ, ખાડાઓનું પુરાણ અને અન્ય સુરક્ષાત્મક પગલાંઓ અત્યારથી જ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયો છે. રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી નાગરિકોની પાયાની જરૂરિયાતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની 64મી મહત્વની બેઠક આજે 13 માર્ચે ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે શાસક પક્ષ દ્વારા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના વિકાસ કામોને ગણતરીના કલાકમાં જ લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ટેકનોલોજીને લગતા મહત્વના એજન્ડાઓ પર ઔપચારિક ચર્ચા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ખાસ કરીને ફ્લાવર શોના આયોજન માટે અગાઉ બહાર પાડવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને ફેરફારને પગલે તેને પરત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ઓડોર કંટ્રોલ સિસ્ટમ આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં શહેરમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટરપ્લાન તૈયાર કરવાના કરારની સમયમર્યાદા લંબાવવાની ભલામણને પણ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પર્યાવરણ અને સ્વચ્છતાના ભાગરૂપે ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ઓડોર કંટ્રોલ સિસ્ટમ બેસાડવા અંદાજે રૂ. 4.57 કરોડના કામની સામે નીચા ભાવે આવેલ રૂ. 3.78 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. ગિફ્ટ સિટી રોડ પર નિર્માણાધીન 26 દુકાનોની ફાળવણી પ્રક્રિયા ગુજરાત ટુરિઝમ ઓપોચ્યુનિટી લિમિટેડને સોંપવાનો નિર્ણય પણ લેવાયો હતો. નવી એમ્બ્યુલન્સ વાન, બગીચાઓના મેઈન્ટેનન્સ સહિતને લીલીઝંડીજ્યારે આરોગ્ય અને સુવિધા ક્ષેત્રે આરોગ્ય શાખા માટે રૂ. 15.52 લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ વાન ખરીદવા અને ફાયર શાખાના કર્મચારીઓ માટે ગણવેશની ખરીદીના જથ્થામાં વધારો કરવાના એજન્ડા મંજૂર કરાયા હતાં. પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખી કુડાસણ ગામતળના ગ્રામ પંચાયત ભવનના રીનોવેશન માટે રૂ. 12.10 લાખના ટેન્ડરને બહાલી અપાઈ હતી. શહેરના બગીચાઓના મેઈન્ટેનન્સ અને મુક્તિધામોમાં અંતિમવિધિની કામગીરી માટેના ચાલુ ઇજારાદારોની મુદત નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવી હતી. 209 કરોડથી વધુના ખર્ચે 72 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશેએજ રીતે શહેરી વિકાસના અન્ય કામોમાં સરગાસણ ખાતે 72 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 209 કરોડથી વધુના તોતિંગ ખર્ચના ટેન્ડરને મંજૂરી અપાઈ હતી. મિલકતવેરાના ચોકસાઈભર્યા સર્વે માટે જીઆઈએસ બેઝ રીસર્વેની રૂ. 8.99 કરોડની કામગીરી પણ સોંપવામાં આવી હતી. ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે નવી એજન્સી સાથે નેગોશિયેશન આ ઉપરાંત ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે અગાઉની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી એજન્સી સાથે નેગોશિયેશન કરી કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે, મોટાભાગે તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઈ છે.
દેશી તમંચા સાથે એક શખસ ઝડપાયો:સુરેન્દ્રનગર LCBએ માલવણ ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરી
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ટોલ પ્લાઝા નજીકથી એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 5,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમોને શોધી કાઢવા માટે LCB ને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ હાજીખાન મુરીદખાન મલેક છે, જે સેડલા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગરનો રહેવાસી છે. તેની પાસેથી લાયસન્સ કે પરવાના વગરનો એક દેશી બનાવટનો લોખંડનો સિંગલ બેરલ તમંચો (બંદૂક) જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત 5,000 રૂપિયા આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા અને સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ.કોન્સ દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ સંજયભાઈ પાઠક સહિતની ટીમે ભાગ લીધો હતો.
પુરવઠા વિભાગે ઓપેરા ગેસ ગોડાઉનની તપાસ કરી:સ્ટોક, વજન ચકાસી સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઓપેરા ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા ખાતાની ટીમે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરનો જથ્થો, તેની ફાળવણીની પદ્ધતિ અને સિલિન્ડરના વજનની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર સહિતના અન્ય પત્રકો પણ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં લગ્નગાળો ચાલતો હોવાથી ગેસ સિલિન્ડરની અછત હોવાના અને કેટલાક સ્થળોએ છૂપી રીતે વધુ ભાવ લેવાતા હોવાના અહેવાલો મળ્યા હતા. આ અહેવાલોને પગલે જિલ્લા કલેક્ટરે ગેસ પુરવઠા અંગે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બેંકમાં નોકરી કરતા રિલેશનશીપ મેનેજર પર ચાર શખસે મળીને હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બહેનને મેસેજ કરવાના આરોપને લઈને પહેલા બે શખસે ફરિયાદીની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મળવા બોલાવીને લાકડી વડે માર મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે બેંકકર્મી ચાર શખસો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરીઠક્કરનગર વિસ્તારમાં રહેતા જીતેન સોલંકી એક બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 માર્ચે જીતેન દિલ્હીથી ઘરે પરત ફર્યો હતો, તે સમયે મચ્છુ ચારણ અને ક્રિષ્ના ચારણ ફરિયાદીના ઘરે આવ્યા હતા. જીતેનના પિતાને કહ્યું હતું કે, તમારો પુત્ર મારી બહેનને મેસેજ કેમ કરે છે? તેને બહાર કાઢો. ત્યારબાદ બંને શખસે જીતેનની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. બીજા દિવસે મળવા બોલાવી હુમલો કર્યોતેમજ બીજા દિવસે જીતેન ઘરે હતો, ત્યારે મચ્છુ ચારણે તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જીતેનને મહાદેવના મંદિર પાસે બોલાવવામાં આવ્યો હતો. જીતેન ત્યાં પહોંચ્યો ત્યારે મચ્છુ ચારણ, ક્રિષ્ના ચારણ અને અન્ય બે શખ્સો હાજર હતા. આરોપીઓએ જીતેનને ફરીથી બહેનને મેસેજ કેમ કરે છે? તેવો સવાલ કર્યો હતો. જો કે, તે બાદ જીતેને કહ્યું હતું કે, હું કોઈ મેસેજ કરતો નથી અને તેમની બહેન જ સામેથી મેસેજ કરે છે. આ વાત સાંભળતા જ ચારેય શખસે મળીને જીતેન પર હુમલો કર્યો હતો અને લાકડીથી માર માર્યો હતો. આસપાસના લોકો આવી જતાં આરોપીઓ ધમકી આપી ફરારજો કે, તે બાદ જીતેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમજ આરોપીઓએ ફરિયાદીને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તે બાદ ફરિયાદીએ ચાર શખસ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. કોટિયા પ્રોજેક્ટનું કહેવું છે કે વળતર ચૂકવવા માટે તે એકમાત્ર જવાબદાર વ્યક્તિ નથી. તેના માટે વીમા કંપની, સબ કોન્ટ્રાક્ટર ટ્રાયસ્ટાર અને ડોલ્ફિન પણ જવાબદાર છે. કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યુંઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યું હતું કે, કોટિયા પ્રોજેક્ટ દ્વારા ક્લેમ કરવામાં મોડું કરવામાં આવ્યું હતું. વળી કોટિયા પ્રોજેક્ટ દ્વારા સબ કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો, જેના માટે તે જવાબદાર નથી. વડોદરા મહાનગરપાલિકાનું કહેવું હતું કે તેને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોટિયા પ્રોજેક્ટ દ્વારા મંજૂરી નહીં હોવા છતાં ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સબ કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે ડોલ્ફિન અને ટ્રાઇસ્ટારને સુપ્રીમમાં કોટિયા પ્રોજેક્ટની અરજી સંદર્ભે નોટિસ કાઢવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ?અગાઉ હાઇકોર્ટે MACPની જોગવાઇ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઘાયલોના પરિજનોને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો. જેમાં કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. હવે ટ્રાઇસ્ટાર અને ડોલ્ફિનને વળતર માટે જવાબદાર ગણવા કે કેમ તે મુદ્દો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ વચ્ચે અટવાયો છે. જ્યારે ઇન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવા જવાબદાર છે કે કેમ તે અંગે અલગથી કેસ થઈ શકે તેમ છે. બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયોજવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળવામાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો હતો. ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપીકોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ ડેટ 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જો કે હાઇકોર્ટે ઓરીજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવીટ માંગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે, કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માંગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? કોટિયાએ જણાવ્યું હતું કે, બોટિંગ પ્રવૃતિ જોઇન્ટ વેન્ચર પાર્ટનર કરતા હતા. કોટિયા, ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર રેવન્યુ શેરિંગ કરતા હતા. અમે 25 ટકા વળતરની રકમ ભરી છે. મૃતકો અને ઇજાગ્રસ્તોને અલગ અલગ વળતર ચૂકવવા નક્કી કરાયું હતુંઅગાઉ પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મૃતકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો, જ્યારે 2 ઘાયલોને સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતા મૃતક બાળક દીઠ 31.75 લાખ, એક શિક્ષકના પરિજનોને 11.22 લાખ, બીજા શિક્ષકને 16.68 લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર વડોદરા જિલ્લા કલેકટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર છે. જેમાં જાહેર હિતની અરજી દાખલ થયેથી ચૂકવાય તેના સમયગાળામાં 9 ટકા વ્યાજ પણ ગણવામાં આવશે.
ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવવાના વિવાદને લઈ દહેગામ તાલુકાના પશુપાલકોએ આજે ગાંધીનગર સચિવાલય સુધી ટ્રેક્ટર રેલી કાઢી આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પશુપાલકોની આ રેલી ગાંધીનગર પહોંચે તે પૂર્વે જ પોલીસે ચારેતરફ નાકાબંધી કરી દીધી હતી. અઢીસો જેટલા પોલીસ જવાનોના કાફલાએ ગાંધીનગર તરફ આવતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી અને આંદોલનકારીઓને અટકાવ્યા હતાં. આ ઘર્ષણ દરમિયાન પોલીસે અલગ અલગ રસ્તાઓ પરથી આશરે 140 જેટલા પશુપાલકોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. દૂધ ઉત્પાદક સંઘ વિરુદ્ધ પશુપાલકોનો મોરચોદહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા ત્રણ દિવસથી ઉત્તમ ડેરી અને અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ વિરુદ્ધ મોરચો માંડીને બેઠા છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના ચેરમેન મોહન ભરવાડના અમુક નિર્ણયોને કારણે દરરોજનું 60 હજાર લિટર દૂધ ભરાવવાનું બંધ થઈ ગયું છે, જેનાથી પશુપાલકોની આજીવિકા પર મોટું સંકટ આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો એકઠા થયાઆ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજે સવારે દહેગામ નહેરુ ચોકડી ખાતે મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો એકઠા થયા હતા. અહીંથી 300 જેટલા ટ્રેક્ટરોમાં રેલી સ્વરૂપે વાયા ચિલોડા થઈને સચિવાલય પહોંચી સરકારને ન્યાય માટે ગુહાર લગાવવાનું આયોજન હતું. ટ્રેક્ટરો સાથે ગાંધીનગરની હદમાં પ્રવેશે તે પહેલા જ પશુપાલકોને અટકાવાયાપશુપાલકોના આંદોલનને જોતા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દહેગામથી ગાંધીનગરને જોડતા માર્ગો પર પોલીસ દ્વારા આડશો મૂકીને ટ્રાફિક રોકી દેવાયો હતો. પશુપાલકો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગરની હદમાં પ્રવેશે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતાં. પશુપાલકોએ મામલતદાર પાસે સુરક્ષાની માંગણી પણ કરી હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે આંદોલનકારીઓને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી. બે હજાર લિટર દૂધ મફત વહેંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યોઅત્યાર સુધીના આંદોલનની વાત કરીએ તો,પશુપાલકોએ મામલતદાર કચેરી સામે દૂધની નદીઓ વહાવી વિરોધ કર્યો હતો. બાદમાં પશુપાલકોએ સંવેદનશીલતા બતાવી દૂધનો વ્યય કરવાના બદલે આશરે બે હજાર લિટર દૂધ જરૂરિયાતમંદો અને ગરીબોને મફત વહેંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 30 ગામોમાં પણ પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધમાં જોડાશેબીજી તરફ નવા થાંભલીયા ગામમાં મહિલા દૂધ ઉત્પાદકોએ ભારે આક્રોશ સાથે ડેરી ચેરમેનની નનામી કાઢી હતી અને પૂતળાદહન કરીને છાજિયા કૂટ્યા હતા. ત્યારે ખાનપુર સહિતના આસપાસના 30 ગામોમાં પણ પશુપાલકોએ દૂધ ન ભરાવીને વિરોધમાં જોડાવાની જાહેરાત કરી છે. જેના કારણે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા જણાઈ રહી છે.
વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગેરરીતિ બદલ ₹1.60 લાખનો દંડ ફટકારાયો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલી રમીલાબેન એસ. બારીયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે કડક કાર્યવાહી કરતા દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કુલ રૂા. 1.60 લાખનો દંડ ફટકાર્યો છે. પુરવઠા નિરીક્ષક દ્વારા આ દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભૌતિક ચકાસણી કરતા ઘઉંના 12 કટ્ટા, ચોખાના 45 કટ્ટા અને ખાંડમાં 15 કિલોગ્રામની ઘટ મળી આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોને કુપન ન આપવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલમાપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારીઓ પણ જોવા મળી હતી.
મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીના કાળાબજાર રોકવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગેસ એજન્સીઓ અને વિતરકોને ઘરેલુ ગેસ સિલિન્ડરનો હેતુફેર કે કાળાબજાર ન કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો કોઈ ગેસ એજન્સી કે વિતરક ઘરેલુ એલપીજીના કાળાબજાર કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, એલપીજીના કાળાબજાર કરનારા તત્વો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં પાસા જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આવી એજન્સીઓના લાયસન્સ રદ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેમણે ગેસ વિતરણકર્તાઓને વર્તમાન સંજોગોમાં ગંભીરતા દાખવવા અપીલ કરી હતી. એલપીજી સ્ટોકના પરિવહન અને કાર્યક્ષમ વિતરણ માટે ગેસ એજન્સીઓને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. ગેસનું પરિવહન અને વિતરણ ફક્ત માન્ય વાહનોમાં જ કરવાનું રહેશે. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ છતાં મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર અને પીએનજી ગેસ પાઇપલાઇન દ્વારા પૂરા પાડવામાં આવતા ગેસનો પણ પૂરતો જથ્થો છે. ઘરેલુ એલપીજીનો પૂરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારના સૂચન હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારોમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની જરૂરિયાત મુજબ એલપીજીની ફાળવણી ચાલુ રહેશે. આ સમયે ગેસ વિતરણ કરતી એજન્સીઓ અને વિતરકો સાથે બિનજરૂરી સંઘર્ષ ન કરવા અને તેમને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક-જાવકનું મેન્યુઅલ રજિસ્ટર ફરજિયાત નિભાવવું પડશે. ઉપરાંત, ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ કરવાની રહેશે. જો કોઈ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉનાળાની શરૂઆતની સાથે જ વધતા જતા તાપમાન અને આગામી સમયમાં હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકા સજ્જ બની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેર માટે 'હીટવેવ એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવ્યો છે આ પ્લાન અંતર્ગત નાગરિકોના સ્વાસ્થ્ય અને કામદારોની સુરક્ષા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ટેકનિકલ અને ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના અપાઈ છે કે, બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન આકરા તાપમાં કામ કરતા મનપાના સ્ટાફ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પૂરતો આરામ મળી રહે તેવી વ્યવસ્થા કરવી, બિલ્ડર એસોસિએશન સાથે સંકલન કરી આ સમયગાળા દરમિયાન કામગીરી ટાળવા જણાવાયું છે, તેમજ શહેરના જાહેર બગીચાઓ સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે, તેમજ મુખ્ય રસ્તાઓ, બસ સ્ટેન્ડ અને ગીચ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને ORS કોર્નર ઉભા કરવામાં આવશે, શાળાઓમાં બાળકોને હીટવેવથી બચવા માર્ગદર્શન આપવા અને જરૂર જણાય તો શાળાના સમયમાં ફેરફાર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, આરોગ્ય વિભાગને હીટસ્ટ્રોકના કેસો માટે દવાઓ અને મેડિકલ સ્ટાફ સજ્જ રાખવા તેમજ દૈનિક મોનીટરીંગ કરવા આદેશ અપાયા છે બીજી તરફ, પશુઓને ગરમીથી બચાવવા માટે ઢોર ડબ્બામાં સ્પ્રિંકલર અને ગ્રીન નેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, સોલિડ વેસ્ટ વિભાગને કચરો સળગાવવાના બનાવો રોકવા અને સફાઈ કામદારો માટે પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા જણાવાયું છે તેમજ ફિલ્ટર વિભાગને શહેરમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરોની વ્યવસ્થા જાળવી રાખવા સૂચના અપાઈ છે ભાવનગર મહાનગરપાલિકાએ નાગરિકોને પણ વિનંતી કરી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં ગેસ સિલિન્ડરની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખાસ કરીને મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી કેન્દ્રોમાં રસોઈકામ ન અટકે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં ગેસ સિલિન્ડરની અછતની સ્થિતિને પગલે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લાની હજારો શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડીઓમાં જો ગેસનો પુરવઠો ખોરવાય તો બાળકોના ભોજન પર સીધી અસર પડી શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા નિયત કોટા મુજબ પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલી જિલ્લાની1380 શાળાઓ તેમજ 3500થી વધુ કાર્યરત આંગણવાડીઓને તેમના કોટા મુજબ ગેસ પુરવઠો ફાળવવામાં આવશે. ગેસ સિલિન્ડરના વિતરણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે. પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, એજન્સીઓ દ્વારા કરવામાં આવતા વિતરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. જો કોઈ સ્થળે વિતરણ વ્યવસ્થામાં ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે લોજિસ્ટિક પ્લાન તૈયાર કરાયો છે, જેથી અછતની સ્થિતિમાં પણ શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી શકે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પાટણમાં ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ:શ્રમિકોને સ્થળ પર મળશે પ્રાથમિક તબીબી સેવા, DDOએ લીલીઝંડી આપી
પાટણ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સેવા પૂરી પાડવા માટે વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે આ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. બાંધકામ સાઇટ્સ પર કામ કરતા શ્રમિકોને ઘણીવાર શારીરિક ઇજાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બાંધકામ સાઇટ, કડીયાનાકા અને શ્રમિક વસાહતો ખાતે તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે 'ધન્વન્તરી આરોગ્ય રથ' યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ આરોગ્ય રથ દ્વારા તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો અને પ્રાથમિક ઇજાઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવે છે. ઉપરાંત, પેશાબ, લોહી, બ્લડ સુગર અને મેલેરિયા જેવી લેબોરેટરી તપાસો પણ ઉપલબ્ધ છે. શ્રમિકોના બાળકો અને સગર્ભા મહિલાઓને પણ જરૂરી તબીબી સલાહ અને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે. હાલમાં પાટણ જિલ્લામાં બે ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે. આજે શરૂ થયેલો આ નવો રથ જિલ્લામાં આવા રથોની સંખ્યા ત્રણ કરશે. આ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નજીકમાં જ તબીબી સારવાર મળશે, જેનાથી ગંભીર અને વ્યવસાયિક રોગોને પ્રાથમિક તબક્કે જ અટકાવી શકાશે. આ ઉપરાંત, શ્રમિકોમાં આરોગ્ય જાગૃતિ લાવવા કાઉન્સેલિંગ અને ઇ-નિર્માણ કાર્ડની નોંધણી પણ કરવામાં આવશે. ગુજરાત સરકારની આ યોજના બાંધકામ શ્રમિકોના આરોગ્ય સુરક્ષા અને સુવિધા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
બોટાદ APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો:તાલુકા મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો
બોટાદ જિલ્લામાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બોટાદ APMC ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં APMCના ચેરમેન મનહરભાઈ માતરીયા, જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી વાળા, કૃષિ વિભાગના પ્રતિનિધિઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને મિલેટ પાકોનું મહત્વ, તેના આરોગ્યલક્ષી ફાયદા અને બજારમાં તેની વધતી માંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિવિધ કૃષિ યોજનાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. તેમણે કૃષિ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનનો લાભ લીધો હતો અને નવી કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી. બોટાદ APMC ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં આધુનિક કૃષિ પદ્ધતિઓ અને મિલેટ પાકો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી તેઓ વધુ સારી અને ટકાઉ ખેતી અપનાવી શકે.
પાટણ જિલ્લાના ખેડૂતોએ બટાકાની ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. પાટણ તાલુકાના ગોલાપુર ગામના ખેડૂતોએ કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રયોગ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જેવા બટાકા ઉત્પાદક વિસ્તારોને પણ ટક્કર આપે તેવો છે. ગોલાપુરના ખેડૂત ઉમેદસિંહ દરબાર અને સરપંચ દિલીપસિંહ મારુએ ચાલુ વર્ષે પ્રાયોગિક ધોરણે પ્રથમ વખત બટાકાનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે બટાકાની ખેતીમાં યુરિયા, ડીએપી અને સલ્ફેટ જેવા ખાતરોનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ આ ખેડૂતોએ માત્ર 25 થી 30 ટ્રોલા દેશી છાણિયું ખાતર વાપરીને ખેતી કરી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા છતાં બટાકાનું કદ અને ગુણવત્તા ઉત્તમ જોવા મળી છે. ખેડૂતોના મતે, ડીસા અને સાબરકાંઠાના વિસ્તારોમાં બટાકાને વહેલા કાઢવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે અને માત્ર 70 દિવસમાં પાક લેવાય છે. જ્યારે ગોલાપુરમાં 120 દિવસનો સંપૂર્ણ સમય આપી કુદરતી રીતે પાક તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની દ્રષ્ટિએ, ઓર્ગેનિક ખેતીમાં પ્રતિ વીઘા અંદાજે 70 થી 100 કટ્ટા જેટલા બટાકા થવાની ધારણા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના અતિશય વપરાશને કારણે જમીન બગડવાની સાથે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. બટાકા, શાકભાજી અને ફળો સજીવ હોવાથી જો તેમાં ઝેર રૂપી કેમિકલ નાખવામાં આવે તો તે માનવ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. આથી જમીનને કેમિકલ મુક્ત કરવા અને સમાજને કેન્સર જેવા રોગોથી બચાવવા માટે ગૌશાળાના છાણ અને ગાય આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીના આ સફળ પ્રયોગ અંગે ઉમેદસિંહ દરબારે જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત ખેતીને કારણે વધતા કેન્સરના કેસો ચિંતાનો વિષય છે. દવાઓ પર ઝેર લખેલું હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, જે ધરતી માતા અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. પ્રથમ પ્રયાસે જ થયેલું મબલખ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન જોઈ અન્ય ખેડૂતો પણ હવે ઝેરમુક્ત ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત શહેરમાં પ્રવાસના શોખીન લોકોને સસ્તામાં લક્ઝરી ટૂર કરાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બનારસ અને દાર્જિલિંગ જેવા સ્થળોએ ફ્લાઇટમાં લઈ જવાના બહાને 44 લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ યુવરાજ જરીવાલાની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. શું હતો સમગ્ર મામલો?2022માં આરોપી યુવરાજ જરીવાલાએ પ્રવાસીઓને આકર્ષવા માટે આકર્ષક ટૂર પેકેજની જાહેરાત કરી હતી. તેણે બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યા જેવા ધાર્મિક તથા પર્યટન સ્થળોએ 13 દિવસનો પ્રવાસ કરાવવાનું વચન આપ્યું હતું. 44 લોકો પાસેથી અંદાજે 9.46 લાખમાં સોદો નક્કી થયો હતો. આરોપીએ 44 પરિવારો પાસેથી ટુકડે-ટુકડે કુલ 5.28 લાખ જેટલી રકમ મેળવી લીધી હતી. લોકોને ફ્લાઇટ દ્વારા મુસાફરી કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. પ્રવાસ અધવચ્ચે લટકાવ્યોજ્યારે પ્રવાસની તારીખ આવી ત્યારે આરોપી પોતે સાથે જવાને બદલે પ્રવાસીઓ સાથે માત્ર એક મેનેજરને મોકલી આપી છટકી ગયો હતો. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને નક્કી થયા મુજબની સુવિધાઓ મળી નહોતી અને અધવચ્ચે જ પ્રવાસ ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થતા પ્રવાસીઓએ સુરત પરત આવી પોલીસનો સંપર્ક કર્યો હતો. કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ?ભોગ બનનાર પ્રવાસીઓની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે આરોપી યુવરાજ જરીવાલાની ધરપકડ કરી છે. યુવરાજે અગાઉ પણ આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. કોઈપણ અજાણી ટૂર એજન્સી કે વ્યક્તિને મોટી રકમ ચૂકવતા પહેલા તેની વિશ્વસનીયતા અને લાયસન્સની તપાસ ચોક્કસપણે કરવી જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતેથી દિવ્યાંગો માટેની નવીન સાધન સહાય યોજનાનો પ્રારંભ કરાયા બાદ, દાહોદ જિલ્લામાં પણ તેનો અમલ શરૂ થયો છે. દાહોદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં 158 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને શારીરિક શ્રમમાંથી મુક્તિ અપાવી આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશન ઓફિસર આર.પી. ખાટા અને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલના યુસુફી કાપડિયાના હસ્તે સાધનોનું વિતરણ કરાયું હતું. કુલ 148 મોટરરાઈઝ્ડ ટ્રાયસીકલ અને 10 અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર લાભાર્થીઓને સોંપવામાં આવી હતી. આ મોટર સંચાલિત સાધનો મળવાથી દિવ્યાંગોને લાંબા અંતરના પ્રવાસ માટે અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવું પડશે નહીં, જેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિતરણ દરમિયાન, લાભાર્થીઓને સાધનોના ટેકનિકલ ઉપયોગ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. કચેરીના કર્મચારીઓએ વિવિધ તાલુકાઓમાંથી આવેલા દિવ્યાંગોને સાધનોની જાળવણી અને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જોયસ્ટિક વ્હીલચેર મેળવનારા ગંભીર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે આ સાધન ખાસ કરીને ફાયદાકારક છે, કારણ કે તેઓ હવે આંગળીના ટેરવે પોતાની હલનચલન નિયંત્રિત કરી શકશે. સરકારના આ પગલાથી દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં છેવાડાના દિવ્યાંગો સુધી સુવિધા પહોંચી છે. નવી ટેકનોલોજીથી સજ્જ આ ટ્રાયસીકલ દિવ્યાંગો માટે રોજગારીના નવા અવસર ઊભા કરશે. લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સાધનો તેમના જીવનની મુશ્કેલીઓ સરળ બનાવશે અને તેમને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તક આપશે.
વડોદરાના મકરપુરા ખાતે આવેલ એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં બોમ્બ ધમકી આપવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ધમકી આપનાર વ્યક્તિ કોઈ બહારનો નહીં, પરંતુ તે જ શાળાનો ધોરણ-10નો વિદ્યાર્થી નીકળ્યો છે, જે હાલ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ધમકીને પગલે મકરપુરા પોલીસે ચેકિંગ પણ કર્યું હતું. આખી સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર, વિદ્યાર્થીએ પરીક્ષા ન આપવી પડે તે માટે આ પ્રેંક મેસેજ કર્યો હતો. તેણે શાળાના એક શિક્ષકને WhatsApp પર મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું: Your school will be completely destroyed tomorrow, God is great, Allahu Akbar. એટલે કે, આવતીકાલે તમારી સ્કૂલ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. ભગવાન મહાન છે, અલ્લાહુ અકબર. આ મેસેજ 5 માર્ચના રોજ વહેલી સવારે રાત્રિ 3:43 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. ઘટનાના 8 દિવસ બાદ, એટલે કે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેસેજ મોકલનાર વિદ્યાર્થીની ઓળખ થઈ અને તે કેન્દ્રીય વિદ્યાલયનો જ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ શાળા વહીવટી તંત્ર અને વાલીઓમાં ખળભળાટ મચાવી દીધી છે, કારણ કે બોમ્બ ધમકી જેવા ગંભીર મુદ્દે પણ તે માત્ર પરીક્ષા ટાળવાના ઈરાદાથી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આવા પ્રેંકના કિસ્સામાં કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. મકરપુરા એરપોર્ટ સ્ટેશનમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક સંતોષકુમાર શૈલેષકુમાર તિવારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તારીખ 5 માર્ચના રોજ વહેલી સવારે 3:43 વાગ્યે મારા વોટ્સએપ નંબર પર એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી અરબી ભાષામાં મેસેજ આવ્યો હતો. મેં સવારે આશરે 8 વાગ્યે સ્કૂલે પહોંચીને આ મેસેજ જોયો હતો. ગુગલ ટ્રાન્સલેટની મદદથી જોતા તેમાં લખ્યું હતું: Your school will be completely destroyed tomorrow, God is great, Allahu Akbar. એટલે કે આવતીકાલે તમારી સ્કૂલ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. મેં તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને જાણ કરી હતી, ત્યારબાદ સવારે 8:12 વાગ્યે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્કૂલ પર આવી પહોંચી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળાના સંકુલ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે, વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. આથી, આ ધમકીભર્યો મેસેજ હોવાનું જણાયું હતું. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખી પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આવા ખોટા અને ડરામણા મેસેજથી શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વડોદરાના નાગરિકોમાં ભય અને તણાવનું વાતાવરણ ઉભું થાય છે. આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપી છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલા કુદરતી મુખત્રિકોણ પ્રદેશ એટલે કે ઘેડ વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ ભોગવતા આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોની પીડાનો અંત લાવવા માટે ભુપેન્દ્ર પટેલે 1423.4 કરોડ રૂપિયાની યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ યોજનાથી 6 તાલુકાના અનેક ગામો અને હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અત્યંત જટિલ છે. અહીં ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી જેવી નદીઓ વહે છે. આ નદીઓ જ્યારે દરિયા કિનારાની નજીક પહોંચે ત્યારે તેમનો પટ અત્યંત સપાટ અને છીછરો બની જાય છે. નદીઓને કુદરતી કાંઠા ન હોવાને કારણે પૂરના પાણી તરત જ આસપાસના ખેતરોમાં ફરી વળે છે. દર વર્ષે ચોમાસાના 4 થી 5 મહિના સુધી આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. રસ્તાઓ બંધ થઈ જવાથી ગામડાઓ સંપર્કવિહોણા બની જાય છે અને લોકો ટાપુ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બને છે. આ પૂરના કારણે માત્ર ચોમાસું પાક જ નિષ્ફળ નથી જતો, પરંતુ ખેતરોમાં કાંપ અને પાણી ભરાઈ રહેવાને કારણે શિયાળુ પાકનું વાવેતર પણ મોડું થાય છે, જેનાથી ખેડૂતોની આર્થિક કમર તૂટી જાય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સરકારે ત્રણ તબક્કામાં કામગીરી વહેંચી છે. ફેઝ-1 અંતર્ગત એપ્રિલ 2025માં 139.42 કરોડના કામો મંજૂર કરાયા હતા, જેમાં નદીઓ અને કેનાલોનું ડિસિલ્ટિંગ એટલે કે કાંપ કાઢવાની કામગીરી, પાણીના વહેણમાં અવરોધરૂપ ઝાડી-ઝાંખરાનું કટિંગ અને નડતરરૂપ ચેકડેમો દૂર કરવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં કુલ 17 જેટલા કામો પ્રગતિ હેઠળ છે, જેને ચોમાસું 2026 પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રાથમિક કામગીરીથી પાણીના કુદરતી વહેણને માર્ગ મળશે અને પૂરની તીવ્રતામાં ઘટાડો થશે. હવે સરકારે ફેઝ-2 માટે 1423.4 કરોડની માતબર રકમ ફાળવી છે. આ તબક્કામાં આઈઆઈટી ગાંધીનગરના ટેકનિકલ રિવ્યુ બાદ સોરઠી ઘેડ માટે 1118.54 કરોડ અને બરડા ઘેડ માટે 304.86 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફેઝમાં નદીઓના કાંઠા મજબૂત કરવા (બેન્ક પ્રોટેક્શન), બંધ પડેલા વોંકળાઓને પુનર્જીવિત કરવા અને જે પુલ કે સીડી વર્ક્સ સાંકડા છે તેને તોડીને મોટા ગાળાના નવા બાંધકામો બનાવવામાં આવશે. દરિયાના ખારા પાણીને અંદર આવતા રોકવા અને વરસાદી પાણીના નિકાલ માટે વધુ ક્ષમતાવાળા નવા ટાઈડલ રેગ્યુલેટર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત હયાત તળાવોને ઊંડા કરી જળ સંગ્રહ શક્તિ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ માત્ર પાણી ભરાવા પૂરતી સીમિત નથી, પરંતુ તે જમીનની ફળદ્રુપતા પણ છીણવી રહી છે. દરિયાના પાણીના બેક મારોને કારણે જમીન ખારી થઈ રહી છે અને વારંવાર આવતા પૂરથી જમીનનો ઉપરનો ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે. અગાઉના વર્ષોમાં પણ અહીં નદીઓના રિમોડેલિંગ અને ઇન્ટરલિંકિંગના પ્રયાસો થયા હતા, પરંતુ સમય જતાં કાંપ ભરાઈ જવાથી અને વહેણ અવરોધાવાને કારણે સમસ્યા જટિલ બની હતી. હવે આ નવા પ્રોજેક્ટથી વૈજ્ઞાનિક ઢબે નદીઓની સફાઈ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતો વર્ષમાં બે પાક લઈ શકે અને પૂરના કાયમી ભયમાંથી મુક્તિ મેળવી શકે. અર્જુનભાઈ મોઢવાડિયા અને અન્ય સ્થાનિક પ્રતિનિધિઓના સતત ફોલોઅપ બાદ આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે.
વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 13 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મામાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આરોપી રણજીત આંધેર (ઉંમર 23) એ વર્ષ 2022માં તેની 13 વર્ષની ભાણેજને સરીગામ બજારમાંથી નવા કપડાં અપાવવાની લાલચ આપી હતી. તે સગીરાને બાઈક પર બેસાડી બજારને બદલે કરમબેલા પાસે GHCL કંપનીની પાછળ આવેલા દરૌઠા ખાડી કિનારે ફોરેસ્ટના જંગલમાં લઈ ગયો હતો. જંગલની ઝાડીઓમાં તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્યનો તેણે પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ તેણે સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે અને તેને જાનથી મારી નાખશે. આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીને POCSO એક્ટ અને IPC કલમ 376(3) હેઠળ દુષ્કર્મ માટે 20 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, IPC કલમ 366 હેઠળ અપહરણ માટે 10 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ તથા IPC કલમ 506(2) હેઠળ જાનથી મારવાની ધમકી આપવા બદલ 2 વર્ષની કેદ અને 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિતાની માનસિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને 'ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેણે વધુ 1 વર્ષ જેલમાં વિતાવવું પડશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જૈન મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ અને મુનિરાજ અજીતસેનવિજયજી મહારાજ શુક્રવાર, 13 માર્ચના રોજ સાંજે ચાર કલાકે પેપરાળ તીર્થથી વિહાર કરશે. તેઓ મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થમાં ગુરુ રાજેન્દ્રસૂરિ સમાધિ મંદિર તરફ પ્રયાણ કરશે. આ મુનિરાજ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય છે. તાજેતરમાં તેઓ પાટણ નગરે પધાર્યા હતા અને હાલમાં ગુરુ જયંતસેનના જન્મસ્થળ પેપરાળ તીર્થમાં બિરાજમાન હતા.
ગુજરાતના પાટનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન અને ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચેના અંતરને ઘટાડવા માટે નિર્મિત હાઈટેક ટ્રાવેલેટરને આખરે મુસાફરો માટે ખુલ્લું મુકી દેવાયું છે. મલ્ટી મોડેલ ઇન્ટિગ્રેશનના ભાગરૂપે આશરે 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ 400 મીટર લાંબુ ટ્રાવેલેટર મેટ્રો અને રેલવે બંનેના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શરૂઆતી તબક્કે થયેલા વિલંબ બાદ ઉચ્ચ કક્ષાએથી મળેલી કડક સૂચનાઓને પગલે પ્રોજેક્ટને તરતો મૂકી દેવાયો છે. ગાંધીનગરમાં મુકાયેલું ટ્રાવેલેટર ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. ટ્રાવેલેટર શરૂ થતાં હવે 1.3 કિમી ચાલવું નહીં પડે અત્યાર સુધી ગાંધીનગર રેલવે સ્ટેશનથી મેટ્રો પકડવા માટે મુસાફરોએ નીચે રસ્તા પર ઉતરીને ખ-રોડ પરથી અંદાજે 1.3 કિલોમીટર જેટલું ચાલીને જવું પડતું હતું. આ મુસાફરીમાં અંદાજે 15થી 20 મિનિટનો સમય વેડફાતો હતો. 4 મિનિટમાં રેલવે સ્ટેશન સંકુલ પહોંચી શકશોજોકે હવે આ આધુનિક સુવિધા શરૂ થતા મુસાફરોએ નીચે રસ્તા પર આવવાની જરૂર જ પડતી નથી. મેટ્રો સ્ટેશનથી ઉતરીને સીધા જ ટ્રાવેલેટર પર ચઢીને માત્ર 4 મિનિટમાં રેલવે સ્ટેશનના સંકુલમાં પહોંચી શકાય છે. રસ્તો ઓળંગ્યા વિના ત્રણ ભાગમાં 400 મીટર મુસાફરી હાઈટેક ટ્રાવેલેટરની વિશેષતા એ છે કે તેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો મુસાફરોને ઐતિહાસિક દાંડી કુટીર સુધી લઈ જાય છે. ત્યાંથી થોડા ડગલાંના અંતરે બીજો વિભાગ અને ત્યારબાદ ત્રીજો વિભાગ શરૂ થાય છે. જે છેક મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની અંદર ઉતારે છે. આ 350થી 400 મીટરની મુસાફરી દરમિયાન મુસાફરોએ ક્યાંય પણ રસ્તો ઓળંગવો પડતો નથી, જે સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ મહત્વનો છે. આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકાશેઆ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને દિવ્યાંગ મુસાફરોને મળશે. અગાઉ ભારે સામાન સાથે ટ્રાફિક વચ્ચે રસ્તો ક્રોસ કરવો તેમના માટે જોખમી અને થકવી દેનારો હતો. હવે ટ્રાવેલેટરની મદદથી કોઈપણ શારીરિક શ્રમ વગર તેઓ આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકે છે. મેટ્રો અને રેલવે સ્ટેશન જતાં મુસાફરોનો ફાયદો ગાંધીનગરના આધુનિકીકરણ અને પરિવહન સેવાઓને પેસેન્જર ફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ ગેમચેન્જર સાબિત થવાનો છે. આગામી સમયમાં જ્યારે મેટ્રો અને રેલવેમાં મુસાફરોનો ધસારો વધશે ત્યારે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરની ગતિશીલતા જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવશે.
ભરૂચ નગર સેવાસદનની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ₹37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો હતો. ગત વર્ષે નગર સેવાસદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જોકે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કર-વેરા લાગુ કર્યા નથી. બજેટમાં શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉનહોલનું નિર્માણ, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સમસાદઅલી સૈયદ અને તેમના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે બજેટમાં 20-20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ, ડોર-ટુ-ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને ટીકા-ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રીમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા સુરત મનપાના ખાસ પગલાંઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે, માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે. આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પોકારવાની નોબત આવશે, જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકાયાસ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે. અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, દર્દીઓને હીટસ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રિટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકવામાં આવ્યાં છે, તેમજ આઈસ બોક્ષ એટલે બરફની પેટી પણ મુકવામા આવી છે. દર્દીને લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર વધી જાય છેસ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ગરમીમાં જયારે કોઈ દર્દી હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતા વધી જાય છે, સામાન્ય કરતા હાઈગ્રેડ તાવનો પારો 105- 106 સુધી પહોચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કઈ પણ બબડયા કરે છે, આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જયારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે, ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા આઈસ બેડની વ્યવસ્થા કરાઈસ્મીમેરના RMOએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલ્ટી-ઉપકા થવા, ગળું સુકાવું. જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પાણીના જગની વ્યવસ્થાજ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે આઈવી ફ્લુઈડ્સ (IV Fluids), ઓઆરએસ (ORS), લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે. અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા, આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવાદરેક વ્યક્તિએ 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળવું. નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ (Cap) પહેરીને નીકળવું. અને થોડા થોડા અંતરે નારિયેળ પાણી, પાણી, લીંબુ શરબત, છાશ વગેરે વધારે લિક્વિડ્સ લેવા જોઈએ, જેથી આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે. દર્દીને સમસયર તાત્કાલિક સારવાર મળી રહેબાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે, ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે, જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય, આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય, તેમજ સમસયર તાત્કાલિક સારવાર મળી રહે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટસ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન આજે ધોરણ 10ના પેપરમાં વધુ એક વિદ્યાર્થિની કોપી કરતાં ઝડપાઈ છે. આ ચાલુ પરીક્ષાનો બીજો કોપી કેસ નોંધાયો છે. આ ઘટના જામનગરની પી.વી. મોદી હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 177માં બની હતી. ધોરણ 10ની ગુજરાતી (દ્વિતીય ભાષા) કોડ નંબર 13ની પરીક્ષા ચાલી રહી હતી. એક વિદ્યાર્થિની પોતાના રૂમાલમાં કાપલી સંતાડીને પરીક્ષા આપી રહી હતી. પરીક્ષા ખંડના સુપરવાઈઝર દ્વારા આ વિદ્યાર્થિનીને કાપલી સાથે ઝડપી પાડવામાં આવી હતી. તેની સામે કોપી કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થિનીને અન્ય પરીક્ષાઓ આપવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન આ બીજો કોપી કેસ છે. આ પહેલા લાલપુરના એક પરીક્ષા કેન્દ્રમાંથી પણ એક વિદ્યાર્થિની ચોરી કરતાં પકડાઈ હતી.
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગેસ માટે લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર ભગતસિંહ ચોકથી ન્યાયમંદિર સુધી રેલી કાઢવામાં આવી હતી. ઓનલાઇન બુકિંગ કેમ બંધ કરાવ્યું?આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર એમ કહે છે કે દેશમાં ગેસની પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. જો ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં હોય તો ગેસના સિલિન્ડરનું ઓનલાઇન બુકિંગ કેમ બંધ કરવું પડ્યું? લોકો ધોમધખતા તાપમાં એજન્સીઓની બહાર કતાર લગાવી રહ્યા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેસના બોટલના ભાવ વધાર્યાકાર્યકરોએ ગેસના સિલિન્ડરોના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ગેસના ભાવ શું કામ વધારવામાં આવ્યા, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની અસર હવે લોકોના ખિસ્સા સુધી થવા માંડી છે. લોકોને જ્યાં મુશ્કેલી પડશે આમ આદમી પાર્ટી તેનો વિરોધ નોંધાવશે અને લોકોની પડખે ઊભું રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્રણ દિવસથી લોકોની લાઇનોવડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ એજન્સીઓ બહાર ગેસના બોટલ મેળવવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે. કેટલાય લોકો ધોમધખતા તાપમાં શેકાઈ રહ્યા છે. જો કે હજુ પણ વડોદરા વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરાઇઝડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સહાય વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, પાટણ જિલ્લામાં કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ દ્વારા કરાયું હતું. યોજના અંતર્ગત, લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 123 લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલ આપવામાં આવી. જ્યારે સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 44 લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું. આ સાધનો દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા પૂરી પાડશે અને તેમની અન્ય પરની નિર્ભરતા ઘટાડશે. લાભાર્થીઓએ આ સહાય મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સાધનો મળવાથી તેઓ હવે સ્વતંત્ર રીતે અવરજવર કરી શકશે અને અન્ય પરની નિર્ભરતા ઘટશે. લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો આભાર માન્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્ટાફે લાભાર્થીઓને સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ગુજરાત સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં ગતિશીલતા લાવશે અને તેમને સામાજિક રીતે વધુ સક્રિય બનાવશે. સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ લોકોનો હેતુ માત્ર એટલો જ હતો કે, ખોળામાં બાળક હોય તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે. જોકે, સુરત પોલીસની સતર્કતાએ આ 'ભિખારી ગેંગ'ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. માતાની નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં બાળકીને લઈ અદ્રશ્યમૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. ગત 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. માતાએ આસપાસ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નહોતો આરોપી પાસે ફોન કે નહોતો કોઈ બાળકનો ફોટોઆ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો. સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ નહોતો. વધુમાં, ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે, પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નહોતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 1500 CCTV અને 'હ્યુમન ઇન્ટેલિજન્સ'નો મહાસંગમઅઠવાલાઇન્સ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-4 ની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું. નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધીના અંદાજે 1500 જેટલા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતાં. હાલમાં રમઝાન માસ ચાલતો હોવાથી મસ્જિદોની બહાર દાન-દક્ષિણાની લાઈનોમાં પણ પોલીસે સાદા ડ્રેસમાં માણસો તૈનાત કર્યા હતા. તપાસ દરમિયાન સીસીટીવીમાં જણાયું કે, આરોપીઓ બાળકીને લઈને ઉધના દરવાજા તરફ ગયા છે. પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ નીચેની વસાહતો અને રેલવે સ્ટેશનો ખૂંદી વળ્યા હતા. ટ્રેન પકડીને પોલીસ બારડોલી પહોંચી, રસાકસીભર્યો પીછોતપાસ દરમિયાન અઠવાલાઇન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે, આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા હોઈ શકે છે. સમય બગાડ્યા વિના, પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા હતા. બારડોલી રેલવે આઉટ પોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય કરવામાં આવ્યા. બાતમી મળી કે, એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે. કીડીઓ અને જંતુઓ વચ્ચેથી માસૂમનો છુટકારોજ્યારે પોલીસની ટીમે બારડોલીમાં પ્લેટફોર્મ નજીકના વેરાન અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં દરોડો પાડ્યો, ત્યારે દૃશ્યો હૃદયદ્રાવક હતા. માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી. પોલીસે ત્વરિત તરાપ મારીને આરોપી મીના વસાવા અને સુનીલ વસાવાને દબોચી લીધા હતા. બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ હતી, જ્યાં તે હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. કોણ છે આ અપહરણકર્તા દંપતી?પકડાયેલ આરોપીઓમાં મીનાબેન સુનિલ વસાવા (ઉં.વ. 35) અને તેનો પતિ સુનિલ રતીલાલ વસાવા (ઉં.વ. 32) સામેલ છે. આ દંપતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલખા ગામનું વતની છે. તેઓ સુરત અને બારડોલીના રેલવે સ્ટેશન વિસ્તારોમાં રખડતું જીવન જીવે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભિક્ષાવૃત્તિ માટે માસૂમનો 'ઢાલ' તરીકે ઉપયોગ કરવાના હતાંઆરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેઓ પ્લાસ્ટિક વીણવાની સાથે ભિક્ષાવૃત્તિ પણ કરે છે. તેમને એવું લાગ્યું કે જો તેમની સાથે નાનું બાળક હશે, તો મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન દરમિયાન અને અન્ય જગ્યાએ લોકો દયા ખાઈને વધુ પૈસા (ભિક્ષા) આપશે. માત્ર થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચે તેમણે એક માતા પાસેથી તેના કાળજાના ટુકડાને છીનવી લીધો હતો. આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે. બારડોલીથી પોલીસે દંપતિને ઝડપી પાડ્યાંઅઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ. એમ.હુધડએ જણાવ્યું હતું કે, CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. ફૂટેજ પરથી અમે એક શંકાસ્પદ મહિલાની ઓળખ કરી જે તે વિસ્તારમાંથી ગુમ હતી. અમે તે ફૂટેજ ફરિયાદીને બતાવ્યા, જેમણે તેની ઓળખની પુષ્ટિ કરી. ત્યારબાદ અમે અન્ય ઘણા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તેની હિલચાલ પર નજર રાખી. અમને જાણવા મળ્યું કે તેણીએ પોલીસથી બચવા માટે ત્રણ અલગ-અલગ રિક્ષાઓ બદલી હતી અને અનેક સાંકડી ગલીઓમાંથી પસાર થઈ હતી. તે જ સમયે, બીજી ટીમ રેલવે અને બસ સ્ટેશનો પર સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી. અંતે અમે તેને ઉધના રેલવે સ્ટેશન સુધી ટ્રેસ કરી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ મહિડાને માહિતી મળી હતી કે, વર્ણન મુજબની એક મહિલા ટ્રેનમાં બાળક સાથે જોવા મળી છે. અમે તેનો પીછો કર્યો અને જાણવા મળ્યું કે તે બારડોલી ગઈ હતી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને અન્ય સ્ટાફ મેમ્બરોને બારડોલી મોકલવામાં આવ્યા હતા. અમે રેલવે પોલીસ સાથે સંકલન કર્યું અને અંતે શંકાસ્પદ સુનિલ રતિલાલ વસાવા અને મીના વસાવાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકનું અપહરણ કરવાનો તેમનો ઈરાદો તેને ભીખ માંગવા માટે ઉપયોગમાં લેવાનો હતો.
દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ (ICDS) વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની આંગણવાડીઓની વર્તમાન સ્થિતિ અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ચાલી રહેલા, પૂર્ણ થયેલા અને ભવિષ્યના આયોજનોની સમીક્ષા થઈ. કલેક્ટર નિરગુડેએ આંગણવાડીના બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આંગણવાડીનું સ્ટ્રક્ચર મજબૂત અને ટકાઉ હોવું જોઈએ. બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઈટ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાની મળવી જ જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કામગીરીમાં કોઈ પ્રશ્નો નડતા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ સુવિધામાં કોઈ ખામી રહેવી ન જોઈએ. બાળકોને સમયસર પૌષ્ટિક દૂધ, નાસ્તો અને જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ આદેશો અપાયા હતા. કલેક્ટરે બાળકોની હાજરી વધારવા માટે આંગણવાડીઓમાં વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાવવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડીનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે વધુમાં વધુ બાળકો ત્યાં આવવા માટે પ્રેરાય.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિત તમામ સીડીપીઓ (CDPO) ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓને સરકારી યોજનાઓનો સીધો લાભ બાળકો સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારે આ વિવાદે હિંસક વળાંક લીધો હતો. યુનિવર્સિટી કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ટેકનિકલ ખામીના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા NSUI અને ત્યાં અગાઉથી હાજર ABVPના કાર્યકરો વચ્ચે કુલપતિ ચેમ્બરમાં જ ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી. આ હોબાળામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે એક તબક્કે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે કુલપતિએ પોતે જીવ બચાવવા ખૂણામાં ભરાઈ જવું પડ્યું હતું. આ ઝપાઝપીનાં વિડીયો પણ વાયરલ થયા છે. ભરતીમાં અન્યાયના મુદ્દે રજૂઆત અને ઘર્ષણસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક RC/09 થી 44/2025 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અંદાજે 146 જેટલા ઉમેદવારો એવા છે જેમણે ફી ભરી દીધી હોવા છતાં ટેકનિકલ જટિલતાને કારણે 'Final Submit' કરવાનું રહી ગયું હતું. યુનિવર્સિટીએ આ ઉમેદવારોને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવ્યા હોવાથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકરો કુલપતિને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. બીજી તરફ, રાજ્યની યુનિવર્સિટીઓમાં રોસ્ટર રજીસ્ટરની અમલવારીમાં ભંગ થતો હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. NSUIનો દાવો છે કે 21-1-1996 અને 7-2-2019ના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રાર અને તેની સમકક્ષ કેડરમાં રોસ્ટર ક્રમ 7 અને 14 પર ST ઉમેદવાર હોવા જોઈએ, પરંતુ ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં રોસ્ટર રજિસ્ટરનું પાલન નહીં કરીને sc/st/obc ઉમેદવારો સાથે કરેલ અન્યાય અને ઓનલાઇન ફોર્મ માં સામાન્ય ભૂલ ના કારણે 146થી વધારે ઉમેદવારો ના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આજે ગુજરાત NSUI દ્વારા કુલપતિનો વિરોધ કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માં આવી હતી. જ્યારે NSUI ના આગેવાનો આ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં ABVPના કાર્યકરો પણ હાજર હતા. NSUIનો આરોપ છે કે તેમણે અગાઉથી સમય લીધો હોવા છતાં કુલપતિએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવ્યા હતા અને દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ દરમિયાન બંને જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. મુદ્દાને દબાવા માટે કુલપતિ ના ઈશારે અને ABVPના ગુંડા તત્વો દ્વારા NSUIના કાર્યકર સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. બીજીતરફ ABVPના મતે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ આવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 146 કરતા વધુ વિદ્યાર્થીઓને મેઈલ કરીને જાણ કરવામાં આવી છે કે તેઓ ફાઈનલ સબમિટ કરવાનું ભૂલી ગયા હોવાથી પરીક્ષા માટે પાત્ર નથી. જોકે, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ તમામ વિગતો ભરી છે અને ફી પણ ચૂકવી છે. યુનિવર્સિટીની જટિલ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી આ મામલે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, નરેન્દ્રસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આના કારણે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ-નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો NSUI આગામી સમયમાં મુખ્યમંત્રી અને આયોગ સુધી રજૂઆત કરશે. તેમજ આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં કુલપતિ ડરના માર્યા ચેમ્બરના એક ખૂણામાં છુપાઈ ગયેલા જોવા મળે છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં કુલપતિની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં આવું ઘર્ષણ થયું હોય તેવી સંભવત: આ પ્રથમ ઘટના છે. હાલ NSUI એ સ્પષ્ટ કર્યું છે કે જો પરીક્ષામાં બાકી રહી ગયેલા 146 ઉમેદવારોને બેસવા દેવામાં નહીં આવે અને રોસ્ટર મુજબ ભરતીની નવી જાહેરાત નહીં અપાય, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.
Gas Cylinder Shortage : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને 'પૅનિક બુકિંગ' ન કરવા માટે અપીલ કરી છે. બુકિંગમાં અચાનક ઉછાળો સુજાતા શર્માએ જણાવ્યું કે, 'દેશમાં સરેરાશ દરરોજ 50 થી 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયો છે. પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.
ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત
India Iran Trade: વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે વચ્ચે ભારતના વિદેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુદ્ધ દરમિયાન ચોથી વખત વાતચીત ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ગત રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી.
ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે જૂની અદાવતના કારણે ખારેશ્વર મહાદેવ મંદિર પાસે બે ભાઈઓ પર છરી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક ભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સોને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલિયા પરા શિવનગરમાં ભાંગના કારખાના પાસે રહેતા શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમાર (ઉ.વ. 27) એ બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તથા તેમનો ભાઈ જીતેશ બપોરના સમયે સ્કૂટર પર વૈશાલી સિનેમાથી ઘરે જવા નીકળ્યા હતા. તે વેળાએ ઘરની નજીક ખારેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા ત્યાં બેઠેલા આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે સ્કૂટર આડે ઉભા રહી બંને ભાઈઓને અટકાવ્યા હતા, અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશ ઉફે બકો તથા જીતેશ ઉર્ફે કાળીયાએ અપશબ્દો બોલી ને થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો હતો, તે અમારા વિરુદ્ધ શું કામ ફરિયાદ કરી તેવું કહી તમામ શખસોએ ઉશ્કેરાઈ જઈ બંને ભાઈઓ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં શાંતિભાઈને કાન પર છરીનો ઘા લાગ્યો હતો અને બીજો ઘા ડાબા હાથ પાસે વાગ્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી બચાવ્યાઆ દરમિયાન શાંતિભાઈનો ભાઈ જીતેશ વચ્ચે પડતા અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે તેના પર પણ હુમલો કર્યો હતો. જીતેશ ઉર્ફે કાળીયાએ માથા અને કાનના ભાગે ધોકાના ઘા મારતા શાંતિભાઈ પડી ગયા હતા, જ્યારે સમીર ઉર્ફે સંતોષ તેમજ આનંદ નામના ઈસમોએ પગના ભાગે તેમજ હાથ પર ધોકાના ઘા માર્યા હતા. સાથે જ હુમલાખોરોએ તેમના ભાઈ જીતેશને પણ આડેધડ માર માર્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શાંતિભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે જીતેશને પણ ઈજા થતા ઓપીડી સારવાર આપવામાં આવી હતી. જે બાબતે ફરિયાદ થતા તેના આધારે ગંગાજળિયા પોલીસે બે દિવસ પૂર્વે આકાશ ઉર્ફે બકો, જીતેશ ઉર્ફે કાળીયો, સમીર ઉર્ફે સંતોષ અને આનંદ સામે BNS કલમ 109(1), 115(2), 117(2), 118(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીજે બનાવના પગલે ગંગાજળિયા પોલીસે બન્ને ભાઈઓ પર હુમલો કરનાર તમામ શખસો આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઇ વાઘેલા, આનંદ તનસુખભાઈ રાઠોડ તમામ ભાવનગર રહેવાસીઓને ગણતરીના દિવસમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદમાં આવી છે. આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ NSUI દ્વારા આવી છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને મળતિયાઓ અને સંબંધીઓને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકીને વિરોધ કરતા પોલીસે NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વિવિધ 36 પદો પર 130 જેટલી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં ત્યારથી જ અનેક વિવાદ ચાલી રહ્યા છે. એક-એક ઉમેદવારોને માન્ય ગણવામાં આવતા NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મળતિયાઓને સેટ કરવા જ ભરતી થઈ રહી છે. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ કુલપતિએ સબ સલામત હોવાનો દાવો કર્યો હતો પરંતુ, જે બાદ 4 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી. તે બાદ પણ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત 40 વર્ષની વયમર્યાદા બદલીને 45 વર્ષની કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરીજેથી NSUI દ્વારા ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, NSUI દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર રજા આપી દેવામાં આવી હતી. તેમજ તમામ ગેટ બંધ કરી પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. ભરતી પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ, NSUIએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી છે. પોલીસે 5 લોકો યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું ભરતી પ્રક્રિયા રદ કરો અને કુલપતિ રાજીનામું આપે એવા નારા સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર જ પોલીસે તેમને વિરોધ કરતા અટકાવી દીધા હતા. જ્યાં કેમ્પસમાં જવા માટે NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કુલપતિ ઓફિસમાં હોવા છતાં જવા દેવામાં ન આવતા હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે 5 લોકો ગુજરાત યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું હતું. પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરીરજૂઆત સાંભળવા માટે કુલપતિ કે રજીસ્ટ્રાર હાજર ન હોવાથી ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા હતા. NSUIના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને કરતો બંધ કરી વિરોધ દર્શાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, NSUIના કાર્યકર્તાઓને અટકાવવા જતા પોલીસે અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, બાદ પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કેટલાક NSUI ના કાર્યકર્તાઓને બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઉપાડી લઈને અટકાયત કરીને લઈ ગયા હતા. સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલાયાNSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ફરીથી પ્રક્રિયા જાહેર કરી તેમાં ખાસ લોકોને સેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખોટી રીતે થઈ રહી છે ત્યારે કુલપતિ જૂઠું બોલી રહ્યા હતા પરંતુ, કુલપતિ સવારે જૂઠું બોલે છે અને સાંજે સાચી હકીકત બહાર આવે છે. જેમાં ચાર જેટલી પોસ્ટ માટેની ભરતી રદ કરવામાં આવે છે. હજુ પણ અમે આક્ષેપ કરીએ છીએ કે, સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ખાસ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાવધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવી જોઈએ અને નવેસરથી પડતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે, તેમની વાત સાંભળવામાં આવે તેવી પણ માંગણી છે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કુલપતિનું પેપર ફૂટી ગયું છે. તેમને પસંદગી માટે જે નામ નક્કી કર્યા છે તે યાદી પણ અમારી પાસે આવી ગઈ છે. તેમનો પાપનો ઘડો બહાર ન આવે તે માટે તમામ લોકોને જાહેર રજા આપી દેવામાં આવી છે તેમજ પોલીસને ઉતારી ગુજરાત યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ જો કુલપતિ સાચા હોય તો અમારી રજૂઆત સાંભળી અને અમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપે એવી અમારી માંગ છે.
અકવાડાના ચન્દ્રોદય પાર્કમાં તસ્કરો ત્રાટક્યા:ત્રણ બંધ મકાનમાં તાળા તોડી 2 લાખથી વધુ રોકડની ચોરી
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા ત્રણ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકો પરિવાર સાથે બહાર ગયેલા હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી ત્રણ મકાનમાંથી 2 લાખથી વધુ રોકડ રકમ ચોરી કરી હતી. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા પૈસા ગાયબ હતાંઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, અકવાડા ચન્દ્રોદય પાર્કમાં રહેતા મયુર ગનુભાઈ હળવદીયાએ ફરિયાદ નોંધાવી છે કે 9 માર્ચના રોજ કુંભારવાડામાં રહેતા તેમના સગાના દીકરીની સગાઈના પ્રસંગે તેઓ માતા-પિતા સાથે અકવાડા સ્થિત પોતાના મકાનને તાળું મારી કુંભારવાડા ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન 11 માર્ચની વહેલી સવારે પડોશીએ ફોન કરીને જાણ કરી હતી, કે તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું તૂટેલું છે અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો છે. ત્યારબાદ મયુરભાઈ પરિવાર સાથે તાત્કાલિક અકવાડા ચન્દ્રોદય પાર્ક સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા આશરે રૂ.30,000 રોકડ રૂપિયા ચોરાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે ઘરમાં પણ ચોરી થયાનું સામે આવ્યુંઆ દરમિયાન સોસાયટીના ગેટ નં.3 પ્લોટ નં.44 માં રહેતા મનસુખમકવાણાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પણ તાળું તોડી ચોરી કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે મંદિરના ખાનામાં રાખેલા રૂ.1,25,000 લાખ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ગેટ નં.2 પ્લોટ નં.465 માં રહેતા અંકિત વાઘેલાના ઘરના દરવાજાનો મીજાગરો તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરાયો હતો અને જેમની ડાયાલિસીસની સારવાર માટે સેટીમાં રાખેલા રૂ.70,000 પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આમ સોસાયટીના ત્રણ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNS કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો હોવાથી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઈટ લગાવેલા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચેકીંગ કરી કાર્યવાહી કરી રહ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન 2025માં જેટલો દંડ અને કાર્યવાહી કરાઈ હતી તેટલી કાર્યવાહી અને એટલો દંડ માત્ર 3 મહિનામાં વસૂલવામાં આવ્યો છે. જાન્યુઆરીથી લઈને 10 માર્ચ સુધી 1021 સામે કાર્યવાહી કરી 10 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છેછેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. નિયમ વિરોધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. જેથી અમદાવાદ RTO દ્વારા ઝુંડાલ સર્કલ, એસજી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સર્કલ સહિતના વિસ્તારમાં રાત્રે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. એક વર્ષની કાર્યવાહીનો દંડ બે મહિનામાં જ વસૂલાયોનિયમ વિરુદ્ધની વ્હાઇટ એલઈડી લાઈટ લગાવનાર સામે વર્ષ 2025માં અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે તે બાદ પણ અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા હતા. જેથી હવે ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વર્ષના જેટલી કાર્યવાહી દંડ વસૂલવામાં આવ્યો હતો એટલો જ દંડ 2 મહિના અને 10 દિવસમાં વસૂલાયો છે. જાન્યુઆરીથી 10 માર્ચ સુધી 1021 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 10 લાખથી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ હવે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી રહ્યા છે તેમની પણ યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવાની તૈયારી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા 1021 વાહનચાલકો સામે કાર્યવાહીઅમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ RTO દ્વારા જુદા-જુદા વિસ્તારમાં નિયમ વિરુદ્ધની LED લાઇટને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંડાલ સર્કલ, એસ.જી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારમાં ડ્રાઈવ પણ ચાલી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 1021 જેટલા નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 લાખથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે તેમજ હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશેવધુમાં નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, તેમજ અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવી રહ્યા છે. તેમનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે તેમજ હવે થોડા દિવસમાં પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશે. ચેકીંગ દરમિયાન નિયમ વિરુદ્ધ વ્હાઇટ LED લાઇટ લગાવવામાં આવતી હોવાનું સામે આવશે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધની વ્હાઈટ LED લગાવી રહ્યા છે, તેમની સામે એક હજાર રૂપિયાનો ચલણ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ જો લાઈટનું વધારે ફોકસ સામે આવે છે તો તેમની સામે 5000 રૂપિયા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાત માટે કડકાઈ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી પાલિકાએ વેરા વસૂલાત માટે કચેરીઓનો સંપર્ક કરવાની શરૂઆત કરી છે અને માર્ચ અંત સુધીમાં તમામ વેરો ભરવા માટે સૂચના આપવામાં આવી છે. 40 કરોડમાંથી 20 કરોડ વસૂલ્યાવડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓના 40 કરોડનો વેરો બાકી હતો. જેમાં પાલિકાએ વસૂલાત શરૂ કરતા અંદાજે 20 કરોડથી વધુનો વેરો વસૂલી દીધો છે અને હવે 16 કચેરીઓનો 18,81,74,389 વેરો બાકી પડે છે. જે વસૂલાત માટે પાલિકા કચેરી ખાતેથી વિવિધ કચેરીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. સિટી પોલીસ મથકનો સૌથી વધુ વેરો બાકીવિવિધ સરકારી કચેરીઓના કરોડો રૂપિયા વેરો બાકી પડે છે. જેમાં સૌથી વધુ વેરો વડોદરા શહેર પોલીસ મથકનો બાકી છે. વડોદરા સિટી પોલીસ સ્ટેશનનો રૂ. 5,39,70,984 નો વેરો બાકી છે. જો કે આ વેરો સરભર કરવા માટેની અરજી આપવામાં આવી છે. પાલિકાએ પણ સિટી પોલીસ સ્ટેશનને કોઈક નાણાં ચૂકવવાના છે જેની સામે આ વેરો સરભર કરવા અરજી આપવામાં આવી છે. કચેરીઓ ગ્રાન્ટ આવ્યા બાદ વેરો ભરશેરેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરકે કચેરીઓમાં માર્ચ અંત સુધીમાં ગ્રાન્ટ આવે છે, ત્યાર બાદ તેઓ આ વેરો ભરે છે, ત્યારે મોટાભાગની કચેરીઓ ગ્રાન્ટ આવતાની સાથે જ વેરો ભરી દેશે. હાલ અમારી કચેરી ખાતેથી તેઓની સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેરો નહીં ભરવાના કારણો જાણવામાં આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથીપાલિકા કચેરી દ્વારા વિવિધ કચેરીઓનો સંપર્ક કરી વેરો ભરવામાં કેમ નથી આવતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે ફંડ નથી તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના રૂ. 23,59,656 મિલકત વેરો બાકી છે. કઈ કચેરીનો કેટલો વેરો બાકી
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા શહેરમાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી નાસતા ફરતા એક આરોપીની મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર તેમજ સામાન્ય ગ્રાહકનો વેશ ધારણ કર્યો હતો અને પોતાની ઓળખ છુપાવી રાખીને તેને શોધી કાઢ્યો હતો. આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ સામે વડોદરા શહેરનાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતાં આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો. આરોપી મહારાષ્ટ્રમાં હોવાની પુષ્ટિ થઈ હતીવડોદરા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. બી. એસ. વાળાની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન આરોપી વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની પુષ્ટિ થઈ હતી. આરોપીના મોઢા પર મસો હતો અને ગુટખા ખાવાનો આદી હતોમુંબઈનો વસઈ-વિરાર એક ગીચ વિસ્તાર છે, જ્યાં ઓફિસો અને ઔદ્યોગિક વસાહતો વધુ છે. આરોપીને ઓળખવા માટે ટીમે ખાસ યુક્તિ અપનાવી હતી. આરોપીના મોઢા પર એક મસો હતો અને તે ગુટખા ખાવાની આદત ધરાવતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ મર્યાદિત માહિતીના આધાર પોલીસેે તપાસ શરૂ કરી હતી. ‘ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ સુધી રેકી કરી હતી’વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પો ડ્રાઇવર, ફૂડ ડિલિવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરીને 3 દિવસ સુધી ખાનગી રીતે રેકી કરી હતી. આ દરમિયાન આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ (ઉંમર.55 વર્ષ, હાલનું રહેઠાણ: એકરોપોલીસ એપાર્ટમેન્ટ, વિરાર વેસ્ટ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર, મૂળ રહેઠાણ: સલીમપુર ગામ, તાલુકો-ખાગા, થાના-ખાગા, જિલ્લો ફતેહપુર, ઉત્તરપ્રદેશ) વિરાર ઇસ્ટ વિસ્તારમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું શોધી કાઢ્યું હતું. યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેવી રીતે પાર પાડ્યું ઓપરેશનવડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે આરોપીનો કોઈ લેટેસ્ટ ફોટો નહોતો. માત્ર 20 વર્ષ જૂની વિગતો હતી. વર્ણનમાં એટલી ખબર હતી કે એના ગાલ પર મસો છે અને એને ગુટખા ખાવાની આદત છે. પોલીસે 3 દિવસ સુધી ત્યાં વોચ ગોઠવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી હતી. એક ટીમને ફૂડ ડિલિવરી બોય બનાવીને મોકલ્યો હતો, જેને એડ્રેસ પૂછવાના બહાને બિલ્ડિંગોમાં તપાસ કરી હતી. એક પોલીસ કર્મીને ને ટેમ્પો ડ્રાઇવર બનાવીને GIDC વિસ્તારમાં મોકલ્યો હતો અને એક પોલીસકર્મી ગ્રાહક બનીને ગયો હતો. તેઓ હિન્દી ભાષામાં જ લોકો સાથે વાતચીત કરતા જેથી કોઈને શંકા ન જાય. 3 દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચ્યોવિરાર ઈસ્ટમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામનું મોટું કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. એના ગાલ પર મસો હતો અને એ વિમલ ખાતો હતો. પોલીસ કર્મીએ ગ્રાહક બનીને એને વાતચીતમાં પરોવ્યો અને પૂછ્યું કે તમે ગુજરાતમાં રહેતા હતા? પછી નામ પૂછતા એણે સાચું નામ 'ફિરોઝ' જણાવ્યું હતું. એનું આધારકાર્ડ ચેક કરતા ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે. ત્રણ દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચી લીધો હતો.
અરવલ્લી પોલીસે શામળાજી ખાતે ₹9.15 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ મોડાસા ડિવિઝનના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો. નિયમો અનુસાર આ દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. શામળાજી સ્થિત જીએસટી મેદાનમાં દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) અને મોડાસા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 304 પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલો આ દારૂનો જથ્થો મેદાનમાં ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો થાય છે. પોલીસે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવીને આ દારૂ જપ્ત કર્યો હતો. દારૂ નાશ કરવાની કામગીરી દરમિયાન 7 પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના રસ્તાઓને પહોળા અને સુવિધાસભર બનાવવા માટે રૂ. 1,185 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 383 કિમી રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશેઆ મંજૂરી હેઠળ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં કુલ 383 કિલોમીટર રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ માર્ગ સુધારણા પ્રોજેક્ટોથી ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત બનશે અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભું કરવામાં મદદ મળશે. ભારત સરકાર અને નીતિ આયોગનો માસ્ટર પ્લાન તૈયારભારત સરકાર અને નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના આર્થિક માસ્ટર પ્લાનને લગભગ 17 મહિના પહેલા સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ 2047 સુધી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્રોમાં સ્થાન અપાવવાનો છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા પગલુંમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સુરત ઇકોનોમિક રિજિયન માટે તૈયાર કરાયેલ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ દૃષ્ટિવંત અને સર્વસમાવેશી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આયોજનબદ્ધ શહેરો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડની ફાળવણીજિલ્લાવાર ફાળવણીમાં સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે વલસાડને રૂ. 264 કરોડની મંજૂરી આપવામાં આવી છે. બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં માર્ગ વિકાસ માટે ખર્ચવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રોકાણો ઔદ્યોગિક ક્લસ્ટરો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બનશે. વિવિધ શહેરો અને તેની ખાસિયતનીતિ આયોગના અહેવાલ મુજબ, સુરત વિશ્વભરમાં કાપડ ઉત્પાદન અને હીરા પોલિશિંગ ઉદ્યોગ માટે ઓળખાય છે. ઉપરાંત કેમિકલ ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા લોજિસ્ટિક્સ સેવાઓ પણ અહીં મજબૂત છે. જ્યારે ભરૂચમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનું જોર છે, નવસારી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ માટે જાણીતું છે, તાપીમાં એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે અને વલસાડમાં કેમિકલ ઉદ્યોગો સાથે પ્રવાસન પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. દ. ગુજરાતની જીડીપી 2047 સુધીમાં 45,000 ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યહાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી લગભગ 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સુરતનું વ્યૂહાત્મક સ્થાન અને એક્સપ્રેસવે, રેલવે, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી સુવિધાઓ તેને વૈશ્વિક ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં વધુ ગતિ આપશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિંગવડ તાલુકાના આગામી પ્રવાસને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે, જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિંગવડ ખાતે યોજાનાર કાર્યક્રમની સફળતા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે. તેથી, સુરક્ષા અને સુવિધા બંને પાસાઓને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તેમણે સ્ટેજ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, તેમજ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા એવી રીતે ગોઠવવા તાકીદ કરી હતી જેથી સામાન્ય જનતાને કોઈ હાલાકી ન ભોગવવી પડે. કલેક્ટરે મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પંખા-કુલર, અવિરત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી પાયાની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને સુચારૂ આયોજન કરવા માટે જરૂરી સૂચનો કર્યા. કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરે પૂર્વ આયોજન પર ભાર મૂક્યો હતો. આ મહત્વની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી અને પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ અને બ્રિજેશ ચૌધરી સહિત અન્ય સંકલન અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સોંપાયેલી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે આગામી 15 માર્ચના રોજ સાંજે 'નમોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સાઈરામ દવે અને તેમની 150 કલાકારોની ટીમ પરફોર્મ કરશે. આકાશમાં ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે સવારે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ 'નમોત્સવ'માં લોકસાહિત્યકાર સાઈરામ દવે તેમની 150 આર્ટિસ્ટની વિશાળ ટીમ સાથે જીવંત પ્રદર્શન આપશે. વિદ્યાનગરના આકાશમાં પ્રથમ વખત અત્યાધુનિક 'ડ્રોન શો' યોજાશે, જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણ બનશે. અમદાવાદમાં સફળતા મેળવ્યા બાદ, આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પ્રથમ વખત વિદ્યાનગરના આંગણે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે 'ઓપન ફોર ઓલ' રાખવામાં આવ્યો છે. સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની તમામ જનતા માટે આ એક અનેરો અવસર છે. ભવ્ય ડ્રોન શો અને સાઈરામ દવે જેવી પ્રતિભાઓના સંગમથી આ ઉત્સવ ઐતિહાસિક બની રહેશે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહિત છે. આણંદ જિલ્લા સહિત વિદ્યાનગર અને આસપાસના વિસ્તારના તમામ લોકોને આ 'નમોત્સવ'માં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 14 વર્ષની 27 કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં RCHO ડૉ. અશોક ડાભી અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાયો હતો. આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કિશોરીઓ અને તેમના વાલીઓની હાજરી જોવા મળી હતી. આ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન ડોકટરોએ વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય ઉંમરે HPV રસી આપવાથી આ કેન્સર સામે સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે. આ રસી સુરક્ષિત અને અસરકારક છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લીમખેડા CHCના મેડિકલ ઓફિસર, વિવિધ PHCના તબીબો અને નર્સિંગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ દરેક કિશોરીનું સ્ક્રીનિંગ કરી, રસી આપી અને ત્યારબાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. આરોગ્ય વિભાગે 9 થી 14 વર્ષની વયની તમામ દીકરીઓને આ રસી અપાવવા વાલીઓને અપીલ કરી છે.
સુરત: ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરતના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા સાપુતારામાં Tacheometry પ્રોજેક્ટની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ISTE સ્ટુડન્ટ્સ ચેપ્ટર અને BIS સ્ટાન્ડર્ડ ક્લબ એક્ટિવિટીના ભાગરૂપે આ મુલાકાત 12 અને 13 માર્ચ, 2026ના રોજ યોજાઈ હતી. આ મુલાકાતમાં સિવિલ વિભાગના ચોથા સેમેસ્ટરના કુલ 119 વિદ્યાર્થીઓ અને ૫ પ્રાધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સાપુતારા ખાતે ટેકિયોમેટ્રિક સર્વે પ્રોજેક્ટમાં પ્રાયોગિક તાલીમ મેળવી. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓને ટેકિયોમેટ્રી સર્વેઇંગની પદ્ધતિઓ, સર્વે સાધનોનો ઉપયોગ, ક્ષેત્રીય માપન પ્રક્રિયા અને ડેટા સંગ્રહ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સર્વેઇંગ વિષયના અભ્યાસક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. ટેકિયોમેટ્રિક સર્વેક્ષણનો મુખ્ય હેતુ હોરિઝોન્ટલ અને વર્ટીકલ નિયંત્રણ સાથે રૂપરેખા નકશા તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓએ આ મુલાકાત દરમિયાન સ્ટાફ પર વાંચન, ક્ષૈતિજ અંતર અને ઊંચાઈનું નિર્ધારણ, RL (Reduced Level), WCB (Whole Circle Bearing) ની ગણતરી અને કન્ટૂર રચના જેવા અનેક તકનીકી કૌશલ્યો શીખ્યા. આ પ્રાયોગિક અનુભવથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ચોકસાઈવાળા સર્વેક્ષણની પદ્ધતિઓ શીખવાની તક મળી. તેમણે ટેપ વડે અંતર માપવાની પ્રેક્ટિકલ તાલીમ પણ મેળવી, જે તેમના સૈદ્ધાંતિક જ્ઞાનને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ. સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા આયોજિત આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી, જે તેમને ભવિષ્યમાં વ્યવહારિક કાર્યો માટે તૈયાર કરશે.
ભાવનગર ગુરુકુળમાં વાર્ષિક પુરસ્કાર સમારોહ:1500 વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશિયલ વિભાગ, સરદારનગર (ભાવનગર) ખાતે ધોરણ 5થી 10 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજે 1200 થી 1500 જેટલા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મેળવેલી સિદ્ધિઓ બદલ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન યોજાયેલી બર્થ-ડે કાર્ડ મેકિંગ, વર્ષા ગાન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, શ્રુતલેખન સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, એક પાત્રિય અભિનય અને ડાન્સ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અંતર્ગત આંતરશાળાઓ વચ્ચે યોજાયેલી કબડી, વોલીબોલ, ખો-ખો, ચેસ, સ્કેટિંગ, કરાટે, યોગા અને એથ્લેટિક્સ જેવી રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. શાળાના શિયાળુ રમતોત્સવ દરમિયાન લંગડી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, એક મિનિટમાં બિસ્કીટ ખાઓ અને લીંબુ-ચમચી જેવી રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, સુપરવાઇઝર પ્રવીણભાઈ કવા તથા સચિનભાઈ દવે અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વહીવટી અને નાણાકીય શિથિલતા ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ નગરપાલિકા લાખો રૂપિયાનું વીજ બિલ ભરવામાં નિષ્ફળ રહી છે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પાસે પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ 155.93 લાખ રૂપિયા એટલે કે ₹1.55 કરોડની માતબર રકમ લેણી નીકળે છે.ત્યારે વીજકનેક્શન કપાતા લોકોને પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની સેવાઓ તંત્રના વાંકે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. વારંવારની નોટિસ છતાં તંત્રની ઉદાસીનતાPGVCL વેરાવળ વિભાગીય કચેરીના જણાવ્યા અનુસાર, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ લાપરવાહીને પગલે હવે વીજ કંપનીએ કડક વલણ અપનાવવાની ફરજ પડી છે. 7 દિવસનું અલ્ટીમેટમ PGVCLના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 12 માર્ચ 2026થી આગામી 7 દિવસની અંદર જો બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા હસ્તકના તમામ મહત્વના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. આ કડક કાર્યવાહીના કારણે પાણી-સ્ટ્રીટલાઈ સહિતની સેવાને અસરો થઈ શકે છે: પાણી પુરવઠો: વોટર વર્ક્સના જોડાણો કપાતા આખા શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. સ્ટ્રીટ લાઈટ: રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારો અંધકારમાં ગરકાવ થઈ શકે છે. જાહેર સેવાઓ: અન્ય સરકારી અને વહીવટી જોડાણો કપાતા જનતાના કામો અટકી શકે છે. નાગરિકોમાં રોષ અને ચિંતાનગરપાલિકાની આ નિષ્ફળતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વેરો નિયમિત ભરવા છતાં તંત્રની આંતરિક બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ કેમ બનવું? જો આગામી સપ્તાહમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો વેરાવળ-પાટણની જનતાએ પીવાના પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારવા પડશે. હવે જોવાનું એ રહે છે કે આ અંતિમ ચેતવણી બાદ નગરપાલિકા જાગે છે કે પછી શહેરને હાલાકીનો સામનો કરવો પડે છે.
પેથાપુરમાં આવેલા શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈત્યાલય, સ્વપ્નવિલા -3 ખાતે ફાગણ વદ નોમ, ગુરુવારે જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથનો જન્મ કલ્યાણક ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકના પવિત્ર પર્વ નિમિત્તે 48 દીપક પ્રગટાવી ભક્તામ્બર સ્તોત્રનું વિધાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમૂહ આરતીનું આયોજન થયું હતું અને એક ધાર્મિક પ્રશ્ન મંચ પણ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ધર્મ વિશે જ્ઞાન મેળવ્યું. આ પ્રસંગે સોનલબેન ગીરીશભાઈ શાહે પ્રથમ તીર્થંકર આદિનાથ, જેમને ઋષભદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે કેવી રીતે વિશ્વ સંસ્કૃતિના પ્રણેતા તરીકે ભૂમિકા ભજવી તે વિશે માહિતી આપી હતી. તેમણે ભગવાનના ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, વૈરાગ્ય, દીક્ષા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ અને તેમના નિર્વાણ વિશે વિગતવાર સમજૂતી આપી હતી.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ શામળાજીના અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ ભગવાન શામળિયાને પત્ર પાઠવી, ધજા ચડાવી અને જિલ્લાના વિકાસ માટે પ્રાર્થના કરી. આ વિરોધ શામળાજી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાધામ શામળાજીમાં વર્ષ 2011માં નગરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર સિવાયના સમગ્ર શામળાજી નગર, બજારો અને વહીવટી કચેરીઓ સહિતના વિભાગો ધ્વસ્ત કરાયા હતા. ત્યારબાદ શામળાજી મંદિરનો વિકાસ થયો છે, પરંતુ મંદિર આસપાસના શૌચાલય, રિંગરોડ, પુનર્વસન, વેપારીઓની દુકાનો, પાર્કિંગ સહિતના અનેક વિકાસ કાર્યો અટકી પડ્યા છે. શામળાજીની અમલમાં મુકાયેલી અને અટકી ગયેલી ટીપી સ્કીમને રિવાઇઝ કરવાની વાત પણ અધ્ધરતાલ છે, જેના કારણે તમામ વિકાસ કાર્યો થંભી ગયા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અને યાત્રાધામ શામળાજી થકી સમગ્ર અરવલ્લી જિલ્લાનો વિકાસ થાય તે માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. આ માટે તેમણે ભગવાન શામળિયાના ચરણોમાં પત્ર પાઠવ્યો, મંદિરની પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી જિલ્લાના ઝડપી વિકાસ માટે પ્રાર્થના કરી.
ભરૂચ જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગ સક્રિય બન્યો હતો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દળને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કોર્ટ પરિસરમાં બોમ્બ શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને અન્ય લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને કારણે પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલ અંગે તપાસ શરૂ કરી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા એક શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાળકોએ તેમની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ તેમજ ભારતની સંસ્કૃતિને લગતા વિવિધ અને અનોખા શૈક્ષણિક મોડેલ રજૂ કર્યા હતા. આ મોડેલો દ્વારા તેમણે પાઠ્યપુસ્તકના જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું હતું. આ પ્રદર્શનને નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શૈક્ષણિક પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત પ્રાયોગિક જ્ઞાન અને તેમનામાં રહેલી સુષુપ્ત કૌશલ્યો વિકસાવવાનો હતો. સમગ્ર આયોજન શાળાના સંચાલક પ્રજ્ઞેશભાઈ, આચાર્ય રીટા મેડમ અને તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
વિવેકાનંદ કોલેજમાં જોબ ફેર યોજાયો:50+ કંપનીઓ અને 30+ સ્કૂલોએ ભાગ લીધો
વિવેકાનંદ કોલેજ અને રેડ એન્ડ વાઈટ સ્કીલ એજ્યુકેશન દ્વારા 12 માર્ચ, 2026ના રોજ કોલેજ કેમ્પસમાં જોબ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો હતો. આ જોબ ફેરમાં વિવિધ ક્ષેત્રોની 50થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ અને 30થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. તેમણે વિદ્યાર્થીઓ અને યુવા ઉમેદવારો માટે વિવિધ પદો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 વાગ્યે ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. કોલેજના B.C.A., B.B.A., B.Com. અને B.Ed. ફેકલ્ટીના 400થી વધુ વિદ્યાર્થીઓએ આ મેળામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને રોજગારની તકો મેળવવાની તક મળી હતી. વિવેકાનંદ કોલેજના સંચાલક મંડળે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવા રોજગાર મેળા દ્વારા યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કોલેજના ટ્રસ્ટી હિતેશકુમાર દેસાઈ, પ્રોફેસરો, તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
દીપડાના અકસ્માત કેસમાં કાર ચાલક હાજર:વનવિભાગે નોટિસ આપતાં વડોદરાનો આરોપી કાર સાથે આવ્યો, કાર ડિટેઇન
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક દીપડાના અકસ્માત કેસમાં વડોદરાના કાર ચાલક જોય થેવાલીયમ વનવિભાગ સમક્ષ હાજર થયા છે. વનવિભાગે નોટિસ આપ્યા બાદ તેઓ પોતાની કાર સાથે હાજર થયા હતા, જેને વનવિભાગ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. હાલ કાર ચાલકની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના 26 જાન્યુઆરીના રોજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બાલાનીવાવ ગામ નજીક બની હતી. એક અજાણ્યા વાહન અડફેટે માદા દીપડાનું મોત થયું હતું. આ બનાવ અંગે જાફરાબાદ વનવિભાગ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વનવિભાગ વડોદરા શહેરના ફતેગંજના રહેવાસી જોય થેવાલીયમ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ જાફરાબાદ વનવિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસના પગલે આરોપી જોય થેવાલીયમ વનવિભાગ સમક્ષ સામેથી જ હાજર થયા હતા. શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું કે, જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાનીવાવ ગામ પાસેથી પસાર થતા સોમનાથ-ભાવનગર હાઇવે પર 26 જાન્યુઆરીએ માદા દીપડાનું મૃત્યુ થયું હતું. આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી. વડોદરાના જોય થેવાલીયમને BNSSની કલમ 35(3) મુજબ નોટિસ આપતા તેઓ પોતાની કિયા કેરેન્સ કાર સાથે હાજર થયા છે. આગળની કાયદેસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અગાઉ પણ વાહન અડફેટે બે સિંહોના મોત થયાના બનાવો સામે આવ્યા હતા, જેમાં બંને વાહન ચાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરના દીપડાના અકસ્માતનો કેસ પણ ઉકેલાતા જાફરાબાદ રેન્જ દ્વારા કુલ ત્રણ અકસ્માતોના બનાવો ઉકેલવામાં સફળતા મળી છે.
એચ.એ. કોલેજમાં દાંડીયાત્રા પર વક્તવ્ય:ગાંધીજીની ઐતિહાસિક યાત્રાનું મહત્ત્વ સમજાવ્યું
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજની ગાંધીઅન સોસાયટી દ્વારા દાંડીયાત્રા સંદર્ભે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તવ્યમાં ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં દાંડીયાત્રાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 12મી માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા મીઠા પર લાદવામાં આવેલા વેરાના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દ્વારા તેમણે અસહકારનું આંદોલન પ્રારંભ કર્યું હતું, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, આ દાંડીયાત્રામાં 78 સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા. તેઓ 24 દિવસ સુધી 385 કિલોમીટર ચાલીને દાંડી પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન ગાંધીજીએ અનેક જાહેરસભાઓ યોજીને મીઠાના વેરા સામે જાગૃતિ ફેલાવી હતી. આ ઐતિહાસિક ઘટનાથી સમગ્ર દેશમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો અને સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ હતી. સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આધારિત આ આંદોલને બ્રિટિશ સલ્તનત સામે દેશવ્યાપી ચળવળ માટે પ્રેરણા પૂરી પાડી હતી. અન્યાય અને શોષણ સામે લડવાની ગાંધીજીની હિંમતે ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. દાંડીયાત્રાએ દેશની સ્વતંત્રતા ચળવળમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને આઝાદી માટે લડવા પ્રેરિત કર્યા હતા.
સમ્રાટ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:માતાઓ અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો
સુરતના પર્વત પાટિયા સ્થિત સમ્રાટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 માર્ચ, 2026ના રોજ સવારે 9:00 થી 11:00 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓની શક્તિ, સિદ્ધિઓ અને મહત્વને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માતાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના સંચાલકોએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું, જેમાં સ્ત્રી સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓના યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિવિધ રસપ્રદ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક ફેશન શો, હાઉસી કાર્ડ ગેમ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોનો સમાવેશ થાય છે. માતાઓએ ઉત્સાહપૂર્વક રેમ્પ વોક કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી અને રમતોમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, 'હિયર મી આઉટ' નામની એક વિશેષ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ વિષય પર એક પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં, ઉપસ્થિત વાલીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ત્યારબાદ તમામ મહિલાઓ અને શાળા સ્ટાફની હાજરીમાં કેક કટિંગ સેરેમની યોજાઈ, જેણે ઉજવણીને વધુ યાદગાર બનાવી. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના આચાર્યએ આભારવિધિ પાઠવી હતી. મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ અને તેમના ઉત્સાહને કારણે આ કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો. શાળા પરિવારે ઉપસ્થિત તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે બાળકોને કેરીનો રસ, પૂરી, સેન્ડવિચ ઢોકળા, શાક અને પાપડ સહિતનું મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વૈષ્ણવ સદગૃહસ્થ પરિવારે સહયોગી દાતા તરીકે યોગદાન આપ્યું હતું, જેનો રાહી ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સ્કૂલના સંચાલકનો પણ આભાર માનવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, અશોકભાઈ દલાલ અને જ્યોત્સનાબેન દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ પરથી તાજેતરમાં લેવાયેલા નમૂનાઓના પૃથ્થકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, રોહીદાસપરા મેઇન રોડ પર આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મ માંથી લેવામાં આવેલ શુદ્ધ ઘી (લુઝ) નો નમૂનો લેબ તપાસ બાદ સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં B.R. Reading at 40 C તથા આયોડિન વેલ્યૂની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ હતી. આ ઉપરાંત, સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવી છે, જે શુદ્ધ ઘીના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સમાન છે. આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પેઢી સામે એજયુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 12 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 15 વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની આ ટીમોએ સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી જાણીતી સુપર માર્કેટો અને પ્રોવિઝન સ્ટોર્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સાધુવાસવાણી રોડ પર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી સોયાબીન અને દેશી ચણાના નમૂના લેવાયા હતા. તે જ વિસ્તારમાં આર હાઇપર માર્કેટમાંથી તુવેર દાળ તથા ઓમ સુપર માર્કેટમાંથી મગની છડી દાળ અને કાબુલી ચણાના નમૂના લેવામાં આવ્યા હતા. રૈયા રોડ પર બાલાજી શોપિંગ સેન્ટરમાંથી સફેદ ચોળી, શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોરમાંથી મગ, શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોરમાંથી ચણાદાળ, એન.બી. બ્રધર્સમાંથી રાજમા અને જય સિયારામ શોપિંગ સેન્ટરમાંથી લીલા વટાણાના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, સાધુવાસવાણી રોડ પર ચંદન સુપર માર્કેટમાંથી અળદ, યુનિવર્સિટી રોડ પર બાલાજી સુપર માર્કેટમાંથી રાજમા અને તુવેર દાળ, રાજેશ અનાજ ભંડારમાંથી વાલ તથા કાલાવડ રોડ પર એન.કાકુભાઈ ગાંધીની પેઢીમાંથી મઠના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ તમામ 15 નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
તાપી જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવીને સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ગ્રેડ-2 અને એક ખાનગી વ્યક્તિને રૂ. 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં કોઈ ક્ષતિ ન કાઢવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટ માટે લાંચની માંગણીઘટનાની વિગત એવી છે કે, સુરતની નાનપુરા સ્થિત 'સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ કાર્યાલય'માં ઓડિટર ગ્રેડ-2 તરીકે ફરજ બજાવતા ધર્મેશકુમાર રતિલાલ વસાવાએ ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ 2024-25નું ઓડિટ કર્યું હતું. આ ઓડિટ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલો વગરનો 'ક્ષતિરહિત' રિપોર્ટ આપવાના બદલામાં ઓડિટર ધર્મેશકુમારે ફરિયાદી પાસે 15,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ઉંચામાળ ગામે ગોઠવ્યું છટકુંફરિયાદીની વિગતોના આધારે સુરત એસીબી એકમના ટ્રેપિંગ ઓફિસર પી.આઈ. કે.જે. ધડુક અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. વ્યારાના ઉંચામાળ ગામે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમ પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી અને ગુપ્ત રીતે આરોપીઓની હિલચાલ પર નજર રાખી રહી હતી. વચેટિયા દ્વારા લાંચ લેવડાવી ફસાયાટ્રેપ દરમિયાન આરોપી ઓડિટર ધર્મેશકુમાર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચની રકમ પોતે સીધી ન સ્વીકારીને, તેમણે પોતાની સાથે રહેલા ખાનગી વ્યક્તિ જેતલકુમાર સુજીતભાઇ ગામીતને પૈસા લેવા માટે ઈશારો કર્યો હતો. જેતલકુમારે જેવી રૂ. 15,000ની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACBએ 15,000ની રકમ રિકવર કરીએસીબીની ટીમે આરોપી જેતલકુમાર પાસેથી લાંચ પેટે સ્વીકારેલા પૂરેપૂરા રૂ. 15,000 રિકવર કર્યા છે. ઓડિટર ધર્મેશકુમાર વસાવાએ લાંચની માંગણી કરી હોવાનું અને જેતલકુમારે તે સ્વીકારી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. આ ઓપરેશનમાં ટેકનિકલ પુરાવાઓ અને પંચોની હાજરીમાં વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું, જેના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી. 'ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં'આજના ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, AMCએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કર્યો નથી. AMC પહેલા સર્વે કરે અને સ્ટ્રીટ વેન્ડર્સને સાથે રાખી સ્કીમ બનાવે. ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં. સર્વે વગર ભદ્રને નો વેડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. સર્ટિફાઇડ સ્ટ્રીટ વેન્ડર્સને AMC અગાઉ બનેલા પ્લાન મુજબ જગ્યા આપે. '21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરો'AMC ના ત્રણ અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર્સના સર્ટિફિકેટ તપાસે તેમાં એક સિનિયર પોલીસ અધિકારી પણ હશે. આ કાર્ય 01 અઠવાડિયામાં કરવાનું રહેશે અને 21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવાના રહેશે. જો કે તેને લઈને આવાગમનનો રસ્તો રોકાય નહીં તેનું વ્યવસ્થાતંત્ર ધ્યાન રાખશે. AMC ના રેકોર્ડ મુજબ અહીં 844 ફેરિયાઓને સમાવી શકાય છે, પરંતુ 586 ફેરિયાઓને પ્રમાણપત્ર અપાયાનું AMC એ જણાવ્યું છે. ત્યારે તેઓને ભદ્રમાં પુનઃ સ્થાપિત કરો.બાકી રહેલા 258 ફેરિયાઓને દિવાળી પહેલાની હંગામી વ્યવસ્થાની જેમ રિલોકેટ કરો. આ બાબતે આગળ કાર્યવાહીની જરૂર પડે તો સુનવણી 17 એપ્રિલે યોજાશે. 'AMCએ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું'હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને દૂર કરીને AMC એ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું છે. હાઈકોર્ટ AMC ના અધિકારીઓ સામે એક્શન લેતી નથી, પરંતુ જો પાથરણાં વાળા કોઈ ફરિયાદ કરશે તો પગલા લેવામાં આવશે. આ દરમિયાન AMCના વકીલે હાઈકોર્ટના ઉપરોક્ત ઓર્ડર ઉપર 6 અઠવાડિયાનો સ્ટેની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકેઅગાઉની સુનવણીમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એક્ટ ઉપર અરજદારો વતી રજૂઆત થઈ હતી. AMCએ રજૂઆત કરી હતી કે બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે. વર્ષ 2016 પ્લાનમાં 288 વેડિંગ સ્પોટ રોડ ઉપર સ્પોટ થયેલા છે. વળી ભદ્રમાં ટ્રાફિકને લઈને પાથરણાં વાળાને બેસવા દેવાય નહીં. AMCને સર્વે કરતા કોને રોક્યા છે ?જેથી કોર્ટે કહ્યું હતું કે, AMCને સર્વે કરતા કોને રોક્યા છે ? AMCએ એરિયા રિડેવલપ કર્યો તે પહેલા પાથરણાવાળા ભદ્રમાં બેસતા હતાં. તે એરિયાના વિકાસ બાબતે પણ તેઓએ કોઈ વિરોધ કર્યો નહોતો. AMCનાં પ્લાન મુજબ ત્યાં 611 ફેરિયાઓને બેસવાની જગ્યા હતી. 'ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ'AMC એ કોર્ટ સમક્ષ અગાઉ કહ્યું હતું કે, એરિયાના રીડેવલોપમેન્ટ બાદ 844 ફેરિયાઓને ભદ્રમાં વેચાણની જગ્યા આપી શકશે. AMCએ કોઈ સર્વે કર્યો નહીં, બહારના લોકો આવ્યા અને ભદ્રમાં ભીડ થઈ, સર્વે કર્યા વગર AMC એ પછી ત્યાંથી ફેરિયાઓને કાઢી મૂક્યા. કાયદા મુજબ કામ કરો કોર્ટનો રોલ છેલ્લે આવે. AMC જાતે વેડિંગ ઝોન જાહેર કરે છે ,પછી કહે છે કે તે રોડ ઉપર આવેલા છે. ભદ્ર પરિસર વેડિંગ ઝોન છે, જે વર્ષ 2014ના કાયદાથી પહેલા અસ્તિત્વ ધરાવે છે. AMCના આર્કિટેક્ટ પ્લાનમાં ફેરિયાઓ માટે જગ્યા રાખવામાં આવી હતી. 611 કે 844 ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ. 'શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી?'AMCએ કહ્યું હતું કે, ભદ્ર પહેલા 'નો વ્હિકલ ઝોન નહોતો, હવે વ્હિકલ ઝોન છે. જાહેર હિતની અરજીમાં મોટા ભાગની પબ્લિકનું હિત જોવું જોઈએ, લાખો લોકો કાલુપુર રોજ જાય છે. જો કે કોર્ટે કહ્યું હતું કે, શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી? 2017 થી તમે એફિડેવિટ ફાઇલ કરો છો. બધું વાર્તા જેવું છે, વાંક કોનો છે ? AMC કાયદા મુજબ કોઈ કામ નથી કર્યું કે ના સર્વે કર્યો. હવે AMC કોર્ટ સમક્ષ માફી માંગીને તેને સાંભળવાની વાત કરે છે. 'પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો'AMC એ એક સબમિશન એવું કર્યું હતું કે, કાયદો અને પરિસ્થિતિ જાળવવા તેઓ અમુક પગલાં લઈ શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા AMCએ ફેરિયાઓને ભદ્ર પરિસરમાંથી કાઢ્યા છે. પહેલા જે ખોટુ કર્યું છે, તેને સુધારો બાદમાં સર્વે કરો. AMC એ પહેલા કોર્ટ સમક્ષ પ્લાન મૂક્યો, કોર્ટની મંજૂરી લીધી નહીં અને પ્લાન વિરુદ્ધ ફેરિયાઓને કાઢી મૂક્યા બાદમાં કોર્ટને ફોટા બતાયા કે ફેરિયા રોડ પર છે. પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો. અત્યારે કેટલા ફેરિયાઓને પરત મૂકશો ? '586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો'AMCએ જણાવ્યું હતું કે, તેઓ ફેરિયાઓને રોડ ઉપર બેસવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અહીં રોડ નહીં, વેન્ડીંગ ઝોનની વાત છે. વર્ષ 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પહેલા થયેલા સર્વેમાં 611 ફેરિયાઓને ભદ્ર પરિસરમાં બેસવાની જગ્યા આપવાની વાત હતી. ત્યાં કાયદા મુજબ તેમને બેસવાનો હક્ક છે. નવા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફેરિયાઓને ત્યાંથી હટાવી શકે નહીં. 586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો. 'કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો'AMCએ કહ્યું હતું કે, અગાઉ કોર્ટ સમક્ષ મુકેલ પ્લાન વર્ષ 2026માં ચાલી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે, કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો. તમે તેમને પરત બેસવા દેવા સર્વેની શરત મૂકી શકો નહીં. તમે બધા ફેરિયાઓને પરત મૂકો, પછી સર્વે કરો. AMC પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ વિસ્તાર વ્હિકલ ઝોન છે ત્યારે આજે અરજદારો પણ 844 ફેરિયાઓ માટે બેસવાની જગ્યાની માંગ કરી શકે નહીં, ફૂટપાથ મોટી કરીને રોડ સાંકડા કરી શકાય નહીં. કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે2017થી ભદ્ર વિસ્તારને વ્હિકલ ઝોન જાહેર કરાયો હોય તો પણ પહેલા સર્વે કરવાનો કોર્પોરેશનનો પ્રસ્તાવ કોર્ટને સ્વીકાર નથી. પહેલા 586 ફેરિયાઓને ભદ્રમાં બેસવા જગ્યા આપવામાં આવે, પછી કોર્પોરેશન સર્વે કરે. અરજદારો પણ ઓથોરિટીને સહયોગ આપે. આમ છતાં બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ રહેતા હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે. અરજદારો વર્તમાનમાં ભૂતકાળ ઇચ્છે છે, જેમાં તેઓ પોતાનું ભવિષ્ય બગાડી શકે છે. કોર્ટ ટ્રાફિક સમસ્યા અવગણીને ઓથોરિટીને કાર્ય કરવા પણ કહી શકે નહીં કે કાયદા વિરુદ્ધના કાર્યની મંજૂરી આપી શકે નહીં. AMCએ 586 ફેરિયાઓને પરત ભદ્ર વિસ્તારમાં મૂકી સર્વે કરવો જોઈએ. હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના ને વેન્ડર્સ એક્ટની જોગવાઇનો ભંગહાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે, કોઇ પણ રિ-સરવે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે. AMC વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો અરજીનો નિકાલ થશેહાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે. અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMCનું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે. 'AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે'હાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 5 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સરવે કરી શકે છે. પરંતુ AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે. 'કોર્ટે આદેશ કર્યા હતા, પછી પણ તમે રિ-સરવે કર્યો નથી'હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, હવે કોર્પોરેશન આ મામલે યુટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે, ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સરવે કરવાથી અટકાવતા નથી, એ AMCની સત્તાનો વિષય છે. પરંતુ તમે જે સરવે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા. પણ પછી તમે રિ-સરવે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી. 'કોના આદેશથી 2025માં ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા'હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા. '844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ?'હાઇકોર્ટે આજની સુનવણીમાં AMCને સવાલો કર્યા હતા કે, વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ? 'તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી'ભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMC ના પ્લાનમાં કહ્યું હતું કે 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ તમે એ પછી કોઇ રિ-સરવે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી. આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે- હાઈકોર્ટAMC તરફથી દલીલ થઈ હતી કે, જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસરવે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો. પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો- હાઈકોર્ટહાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.
સુરત શહેર દેશભરમાં તેની સ્વચ્છતા અને સુઘડ આયોજન માટે જાણીતું છે. સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુરત મહાનગરપાલિકા જ્યારે સુવિધાઓના દાવા કરે છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલું હરીનગર શહેરી આરોગ્ય કેન્દ્ર તંત્રના સ્વચ્છતાઓના આ દાવાઓની પોલ ખોલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રની સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળ્યોપાંડેસરા એ સુરતનો શ્રમિક અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના હરીનગર આરોગ્ય કેન્દ્રમાં રોજ સેંકડો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે આવે છે. પરંતુ આ સેન્ટરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાઓ સુધી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અહીં ભયંકર દુર્ગંધ ફેલાયેલી રહે છે. કચરાના આ ઢગલા પર રખડતા ઢોર અને કૂતરાઓનો જમાવડો જોવા મળે છે, જે સારવાર માટે આવતા નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છેમાત્ર બહાર જ નહીં, પણ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર પણ ગંદકીના સામ્રાજ્યએ પગપેસારો કર્યો છે. પરિસરમાં ખૂણે-ખૂણે પ્લાસ્ટિકની કોથળીઓ અને ધૂળના થર જોવા મળ્યા છે. જે સ્થળે સ્વચ્છતાના સૌથી ઊંચા ધોરણો હોવા જોઈએ, ત્યાં જ આ પ્રકારની બેદરકારી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા છતી કરે છે. આરોગ્ય કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છે ત્યારે દરવાજાની થોડે બહાર આરોગ્ય ક્ષેત્રે વપરાતો દવાનો વેસ્ટેજના કોથળા ભરેલા પણ પડેલા જોવા મળ્યા હતા. રોગચાળાને ખુલ્લું આમંત્રણઆ ગંદકીની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હેલ્થ સેન્ટરમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે. પાણી ખુલ્લી ટાંકીમાં પક્ષીઓનો ચરક, ધૂળ અને કચરો પડે છે. વધુમાં, હાલના સમયમાં જ્યારે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ખતરો વધી રહ્યો છે ત્યારે આવી ખુલ્લી ટાંકી મચ્છરોના બ્રીડિંગ માટે સ્વર્ગ સમાન છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન હાલમાં આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. તેઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી રહ્યા છે પરંતુ, પાંડેસરાનું આ દ્રશ્ય સૂચવે છે કે કમિશનરના આદેશો ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી જાય છે. જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ચમકી રહ્યા છે ત્યારે ગરીબ અને શ્રમિક વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની કેમ ખરાબ હાલત?
અમદાવાદની અદાલતોને બોમની ધમકી મળ્યાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. હજુ ગઈકાલે જ અમદાવાદ મેટ્રો કોર્ટને બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ ફરી આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ અમદાવાદ ગ્રામીણ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટને પણ બોમની ધમકી મળી હતી. અટપટી ટેક્નોલોજીને ભેદીને ગુન્હેગારને પકડવો અઘરો બન્યોપોલીસે અગાઉ બોમ્બની ધમકી આપનાર એક મહિલા આરોપી અને વિશ્વાસ નામના પશ્ચિમ બંગાળના અને મૂળ બાંગ્લાદેશના યુવકને ઝડપી પાડ્યો છે તેમછતાં આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે પોલીસ સમક્ષ આ ધમકી આપનારને ઝડપી પાડવો મોટો પડકાર છે. અટપટી ટેક્નોલોજીને ભેદીને ગુન્હેગારને પકડવો અઘરો બન્યો છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કોર્ટ પરિસરમાંથી પોલીસે મળી આવી નથીઅમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ધમકી મળતા સ્થાનિક પોલીસ, બોમ્બ ડિટેકટ એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર ફાઇટર્સ વગેરેએ ગ્રામ્ય કોર્ટ ઇન્કમટેક્સ ખાતે પહોંચીને કોર્ટમાં અને પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે. જો કે અત્યાર સુધીની ધમકીઓમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કોર્ટ પરિસરમાંથી પોલીસે મળી આવી નથી, જે સુરક્ષા એજન્સીઓ માટે રાહતના શ્વાસ સમાન છે.
મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા
કટોકટીની પળોમાં દેવદૂત બનીને આવતી 108 ઇમરજન્સી સેવાની ટીમે મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં ફરજ દરમિયાન માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગુદણ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપી 108ના કર્મીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતાગઈકાલે જાગુદણ ચોકડી પાસે એક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ પાલવાસણા લોકેશન પર તૈનાત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. EMT કાજલ પરમાર અને પાયલોટ દિલીપ રાવલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા અને સ્થળ પર એકલા હતા. પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સારવાર દરમિયાન 108ની ટીમને દર્દી પાસેથી એક વોલેટ,11,500 રૂપિયા રોકડા તેમજ એક વીવો કંપનીનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. 108ની ટીમે આ તમામ કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધીને તેમને રૂબરૂ બોલાવી તમામ વસ્તુઓ હેમખેમ પરત સોંપી હતી. હાલમાં દર્દીને વધુ સારવાર માટે લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તની જિંદગી બચાવવાની સાથે તેમની મિલકત પણ સુરક્ષિત રાખવા બદલ સ્થાનિક લોકો અને પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ભરૂચના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી, તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ પણ તોડી નાખ્યો હતો. હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજીઆજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં નેત્રંગની ચોકડી ખાતે સ્થિત આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી હતી. જે બાદ સભા સ્થળે પહોંચીને આદિવાસી જનસભાને સંબોધી હતી. ‘નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે. તેમજ કહ્યું કે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસીના ગામેગામમાં જે કામગીરી ચાલી રહી છે, તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે આદિવાસી ગૌરવ સંમેલન. વિશ્વનો સૌથી મોટો વેપારનું કેન્દ્ર એટલે ભરૂચ જિલ્લો. ‘કોંગ્રેસે માત્ર વોટ લેવા જ આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કરતા લોકો અને એમની વિચારધારાવાળી સરકારે આદિવાસી સમાજની ઉન્નતી માટે જે કામ કરવાનું હતું એ ન કર્યું. કોંગ્રેસની સરકારે વર્ષો-વર્ષ સુધી આદિવાસી સમાજનો માત્ર વોટ લેવા જ ઉપયોગ કર્યો છે. આઝાદી મેળવવા આદિવાસી સમાજના અનેક યુવાનોએ સહાદત આપેલી, એમણે એ માટે સહાદત આપી કે અમારી આવનારી પેઢીઓને આનો હક મળશે પણ કોંગ્રેસની સરકારમાં આદિવાસી સમાજને કોઇ હક ન મળ્યો. ‘આદિવાસી સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે’હર્ષ સંઘવીએ વધુ જણાવ્યું કે, આ સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે. આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી. વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેજોને પોતાના ટેલેન્ટ અને રુપિયા પર ઘમંડ હતો પણ આદિવાસી ભાઇઓએ તીર-કામઠાથી એમનો ઘમંડ તોડી દીધો હતો. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદનભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયેલા આગેવાનોને આવકાર્યાંહર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકારમાં ચાર-ચાર મંત્રી આદિવાસી છે. કોંગ્રેસ, આપ અને બિટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા હર્ષસંઘવીએ તેઓને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાંભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતા પણ ગણપત વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારૂતિસિંહ અટોદરિયા,ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર ખાતે જનસભાને સંબોધી અનેક આદિવાસી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ્યાં હતા. તે વિસ્તાર ચૈતર વસાવાના રાજકીય પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ત્યારે ફરી એકવાર નેત્રંગમાં યોજાયેલી આદિવાસી સભાને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લા થોડા સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જે વિસ્તારોમાં અગાઉ મોટા રાજકીય નેતાઓની હાજરી ઓછી જોવા મળતી હતી, તે જ વિસ્તારોમાં હવે મોટા પાયે રાજકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના સંકેતો વચ્ચે ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા અને રાજકીય આધાર વધારવા માટે દિગ્ગજ નેતાઓને સક્રિય બનાવવામાં આવી રહ્યા હોવાનો રાજકીય વિશ્લેષકો મત વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નેત્રંગ મુલાકાતને પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી પુરસ્કાર-2025'ની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓની બે સદસ્યની ટીમે મહેસાણા જિલ્લાની વિશેષ મુલાકાત લીધી હતી.ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ મંત્રાલયના નિયામક પૂર્ણેશ ગુરુરાનીએ જિલ્લાના નવતર 'જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ' અંગે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બ્રીફિંગ બેઠક યોજી પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. બજેટ અને લાભાર્થીઓમાં વધારોઆ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે ,જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રોજેક્ટને વર્ષ દર વર્ષે વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. વર્ષ 2023-24માં 10.95 લાખના ખર્ચે 147 બાળકોથી શરૂ થયેલી આ સફર ચાલુ વર્ષે 50 લાખના માતબર બજેટ સુધી પહોંચી છે. જેનો સીધો લાભ હાલ 248 બાળકોને મળી રહ્યો છે. જિલ્લા દ્વારા આ બાળકોને પેન ઇન્સ્યુલિન પૂરા પાડવામાં આવે છે અને દર ત્રણ મહિને ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરી નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર રાજ્ય માટે મહેસાણા મોડેલ બન્યું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મહેસાણા જિલ્લાની આ માનવીય અભિગમવાળી કામગીરીની રાજ્ય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. જેના ફલસ્વરૂપે હવે સમગ્ર ગુજરાતમાં જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોના નિદાન અને સારવાર માટે 'SOP' તૈયાર કરવામાં આવી છે. જેનો લાભ રાજ્યભરના બાળકોને મળશે. આ ઉપરાંત ડાયાબિટીસ ધરાવતા બાળકોના માનસિક અને ઇમોશનલ સપોર્ટ માટે યોજાતા 'મધુમેલા' જેવા કાર્યક્રમોની વિગતો જાણી કેન્દ્રીય અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની મુક્તકંઠે સરાહના કરી હતી.
જૂનાગઢ શહેરના રાજકોટ રોડ પર આવેલા મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે, કારણ કે મૃતદેહ રોડની સાઈડમાં આવેલી ઝાડી-ઝાંખરામાં છુપાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં છે, જેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું મોત છેલ્લા ઘણા દિવસો પહેલા થયું હશે. લાશ કોહવાઈ ગઈ હોવાને કારણે હાલ પૂરતી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવ્યો છે. મોતનું કારણ કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતદેહની હાલત ઘણી ખરાબ હોવાથી તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી મોતના ચોક્કસ સમય અને કારણ વિશે જાણી શકાય. બીજી તરફ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલી ગુમશુદાની અરજીઓ સાથે આ વ્યક્તિનું વર્ણન મેળવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે.
મહેસાણાની લાખવડ સ્કૂલના શિક્ષિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો અને બજારુ પડીકાના નાસ્તામાં વપરાતા હાનિકારક તત્વો વિશેની જાગૃતિને કારણે આજે સ્કૂલના 500 જેટલા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ત્યાગ કરી ચૂક્યા છે. હવે આ બાળકો પ્લાસ્ટિકના બદલે સ્ટીલના ડબ્બા વાપરે છે અને ઘરેથી પૌઆ કે થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવે છે. વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા ક્ચરો એકઠો કર્યો હતોલાખવડ સ્કૂલના શિક્ષિકા સંગીતાબેન રાવલે જ્યારે શાળાના મેદાનમાં જ્યાં-ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, રેપર્સ અને બોટલોનો કચરો જોયો ત્યારે તેમણે સ્કૂલ પ્લાસ્ટિક મુક્ત કરવાનો મક્કમ સંકલ્પ કર્યો. તેમણે ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરીને સૌપ્રથમ સ્કૂલના સંકુલમાંથી વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા ક્ચરો એકઠો કર્યો હતો. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ નાસ્તો આપવા વિનંતી કરીમાત્ર સફાઈ જ કરાવી નહીં પણ બાળકોની જીવનશૈલી બદલવા માટે તેમણે વિદ્યાર્થીઓને રેડીમેડ પડીકાના નાસ્તાથી થતાં નુક્સાન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો વિશે રોચક નાટક, અભિનય દ્વારા સમજણ આપી. પડીકા પર અંગ્રેજીમાં લખેલી વિગતોનુંગુજરાતીમાં અનુવાદ કરીને તેમાં વપરાતા હાનિકારક પામ ઓઈલ અને મસાલાઓ વિશે બાળકોને જાગૃત કર્યા. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ પૌષ્ટિક નાસ્તો આપવા વિનંતી કરી હતી. 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા લાવતા થયાત્રણ મહિનામાં સ્કૂલના 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવતા થયા છે. જે બાળકો પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલ લાવતા હતા. તેમને પણ અટકાવીને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. શાળામાં નર્મદાના શુદ્ધ પાણી અને સ્ટીલના ગ્લાસની વ્યવસ્થા હોવાથી હવે પ્લાસ્ટિકની બોટલોનું પ્રમાણ પણ નહિવત થઈ ગયું છે. વિદ્યાર્થીઓ હવે તેમના જન્મદિવસે ચોકલેટ વહેંચીને રેપર્સનો કચરો કરવાને બદલે પેન્સિલ કે રબર જેવી ઉપયોગી વસ્તુઓ ભેટમાં આપે છે.આ પ્રયાસોના પરિણામે આજે આખી શાળામાં ક્યાંય પ્લાસ્ટિકનું કાગળિયું જોવા મળતું નથી.
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથક દ્વારા પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 1,37,612 બોટલોનો નાશ કરાયોકરજણ પોલીસ મથક દ્વારા છેલ્લા કેટલાક સમયમાં વિવિધ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રેન્જ આઇજી સંદિપ સિંગ વડોદરા તથા ડીએસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો મુદ્દામાલ સમય મર્યાદામા કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી નાશ કરવા સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે કરજણ પીઆઈ બી.એમ.પટેલ દ્વારા જરૂરી ટીમ બનાવી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સક્ષમ ન્યાયાધીશ પાસેથી જરૂરી પરમીશન મેળવી સબ ડિવીઝનલ મેજીસ્ટેટની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશનનો ગેર કાયદેસર પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવા માટે નિર્ધારીત કરી હતી. 18 ગુનાનો મુદ્દામાલ નાશ કરાયોકરજણ પો.સ્ટેના કુલ 18 ગુન્હાનો મુદ્દામાલ જેમા નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- 1,37,612 જેની કુલ કિ.રૂ. 4,45,84,142નો મુદ્દામાલ પંચો અને કમીટીના સભ્યો રૂબરૂમાં બામણગામ ખાતે આવેલ મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીની ખુલ્લી જગ્યામા નાશ કરવામાં આવ્યો.
ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગાંધીનગર અને પાટણ પંથકમાં તરખાટ મચાવનાર 23 વર્ષીય રીઢા ચોર રાહુલ ઉર્ફે મેહુલ પટણીને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એટલો લાંબો છે કે તેના વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ચોરાયેલી રીક્ષા સાથે યુવકને ઝડપી પાડ્યોગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો દિન પ્રતિદિન વધતા PI બી. બી. ગોયલ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ સૂચનાના આધારે સર્વેલન્સ સ્કોડના PSI જે. એચ. મકવાણા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અત્રેના વિસ્તારમાં બાતમીદારોને એક્ટિવ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-13 બગીચા પાસે ચોરાયેલી રીક્ષા સાથે એક શંકાસ્પદ શખ્સ ઉભો છે. જેના પગલે પોલીસે રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઈ પટણી (રહે. હાઉસીંગ બોર્ડના છાપરા, ગાંધીનગર, મૂળ રહે. પાટણ) નામના 23 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી (જીજે-18એવાય-3545) નંબરની સીએનજી રીક્ષા મળી આવી હતી. 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલાપોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ રીક્ષા થોડા સમય પહેલા જ ચોરવામાં આવી હતી. જે મામલે 60 હજારની કિંમતની રિક્ષા ચોરીની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જ્યારે પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પકડાયેલ આરોપી રાહુલ પટણી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ સેક્ટર-7, સેક્ટર-21, ઇન્ફોસિટી અને પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી કુલ 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલા છે. સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર ઝડપાયોઆ ઉપરાંત સેક્ટર 7 પોલીસે બેટરી ચોરીના અન્ય એક ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. જેમાં હિંમતસિંહ વાઘેલાની સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર મંગળ બાવરી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વીડિયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ, પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ મિટિંગો યોજી રૂ. 3 લાખથી શરૂ કરી છેલ્લે સવા લાખની રોકડની માંગણી કરી હતી. જેની સમગ્ર વાતચીત બાંધકામ કરનાર પરિવારે વીડિયોમાં કેદ કરી લીધી છે. જોકે, આ મામલે અનિલ મકવાણાએ પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી લેતી-દેતીને બિઝનેસ મેટર ગણાવી છે, બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ ઘટનાને ગંભીર ગણાવી શિસ્તભંગના કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. જોકે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કારસ્તાનનું મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે. મનપાના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી બાંધકામ અટકાવ્યું હતુંરાજકોટ શહેરના રહેવાસી દિલીપભાઈ વાગડીયાના પિતરાઈ ભાઈ દ્વારા રવિરત્ન પાર્કમાં 150 વાર જગ્યામાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામ ગેરકાયદે થતી હોવાની લેખિત અરજી રાજકોટ મહાનગપાલિકામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ પછી મનપાના અધિકારીઓ સ્થળ મુલાકાત કરી બાંધકામ અટકાવ્યું હતું અને અરજી અંગે જાણ કરી હતી. અરજી અંગે તપાસ કરતા અરજી અનિલભાઈ મકવાણાએ કરી હોવાનું જાણવા મળતા દિલીપભાઈ વાગડીયાએ અનિલભાઈ મકવાણાનો સંપર્ક 6 ફેબ્રુઆરીના રોજ કર્યો હતો. 6 ફેબ્રુઆરીના રોજ સંપર્ક કરી અનિલ મકવાણાએ હોસ્પિટલના કામથી બહાર હોવાનું કહી આવતીકાલે 11 વાગ્યે સર્કિટ હાઉસ મળીશું તેવી વાત કરી હતી. બાંધકામ અંગેની અરજી પરત ખેંચી ન શકાય કહી સેટલમેન્ટની વાત કરીઆ પછી 7 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે દિલીપભાઈ વાગડીયા અને અનિલ મકવાણા વચ્ચે સર્કિટ હાઉસના VIP હોલમાં બેઠક થઇ હતી. આ બેઠક દરમિયાન તેમને ચા-પાણીની સલાહ કરી હતી અને બાંધકામ અંગે ચર્ચા શરૂ કરી હતી. બાંધકામ અંગેની અરજી પરત ખેંચી ન શકાય કહી સેટલમેન્ટ માટે વાતચીત શરૂ કરી હતી. આ પછી બાંધકામ અંગે અરજીમાં મળેલ જવાબ સંતોષકારક છે તેમ કહી દઈશ આ માટે રૂપિયા 3 લાખની માંગણી કરવામાં આવી હતી. આ મિટિંગ લગભગ 15 મિનિટ સુધી ચાલી હતી આ પછી વિચારીને જણાવીશું કહી દિલીપભાઈ અને અનિલભાઈ છુટા પડ્યા હતા અને સાંજે ફરી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત થઇ હતી. 'મારે અરજી પાછી ન ખેંચાય, મારા કાંડા કપાય જાય'7 ફેબ્રુઆરીના રોજ ફરી સાંજે દિલીપભાઈ અને અનિલભાઈ વચ્ચે મુલાકાત થઇ હતી, જેમાં દિલીપભાઈએ 3 લાખ રકમ વધુ છે કહેતા આમાં માત્ર 25-50 હજારનું માન રાખવામાં આવશે કહી તમારી અપેક્ષા મુજબ બાંધછોડ નહિ થાય કહ્યું હતું. આ સમયે પણ 10 મિનિટ મિટિંગમાં તેમણે દિલીપભાઈને છેલ્લે જતા જતા 'હું જાહેરજીવનનો માણસ છું, મારે અરજી પાછી ન ખેંચાય, મારા કાંડા કપાય જાય, હમણાં માથે ચૂંટણી આવી રહી છે' કહી છુટા પડ્યા હતા. આ સમયે દિલીપભાઈ દ્વારા બે-ચાર દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. છેલ્લા સવા લાખ રૂપિયા થશે આનાથી ઓછું નહીં થાયઆ પછી ફરી 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે સર્કિટ હાઉસ ખાતે બહાર મેદાનમાં દિલીપભાઈ અને અનિલભાઈ વચ્ચે મિટિંગ થઇ હતી. આ સમયે અનિલ મકવાણાએ અગાઉની વાત મુજબ બે લાખની ડિમાન્ડ રાખી હતી અને પોતે પોતાના ટ્રસ્ટના સમૂહ લગ્ન કરાવવા ઈચ્છે છે તેમાં ખર્ચ પણ થશે કહી છેલ્લા સવા લાખ રૂપિયા થશે આનાથી ઓછું એક પણ રૂપિયા નહિ ચાલે કહી ચાલતી પકડી હતી. જ્યારે દિલીપભાઈએ છેલ્લા 60,000 રૂપિયાની ઓફર પણ કરી હતી. નગરસેવકનું સેવા કરવાના બદલે રૂપિયા પડાવવાનું કારસ્તાનદિલીપભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા મેઈલથી અને લેખિતમાં કેટલી અરજી કરી છે તેની પણ તપાસ થવી જોઈએ. એટલે લોકોને ખબર પડે કે તેમના નગરસેવક સેવા કરવાના બદલે રૂપિયા પડાવવાનું કારસ્તાન ચલાવી રહ્યા છે. દિલીપભાઈ મકવાણા પોતે ચોકીદાર દિલીપ નામનું ઇમેઇલ એડ્રેસ ધરાવે છે અને તેના મેઈલ એડ્રેસ પરથી મનપામાં ઇમેઇલ કરતા હોય છે. 'હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એ પહેલા હું પોતે કોન્ટ્રાક્ટર હતો'ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20-22 વર્ષથી જ્યારે આ વખતે તેમને મોકો મળ્યો હોય ત્યારે અમારા અમુક વિરોધીઓએ મને બદનામ કરવાનું આ કાવતરું કર્યું હોય તેવું લાગે છે. પૈસાની લેતી-દેતી બાબતે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બધાને ધંધો કરવાનો હક છે. હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એ પહેલા હું પોતે કોન્ટ્રાક્ટર હતો. પોલીસ આવાસ નિગમના હું કામ રાખતો હતો અને બિલ્ડિંગ મટીરીયલ્સ સપ્લાયનો મારો બિઝનેસ છે. કાર્યકરો દ્વારા નાના કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લેવાની વાત મારા ધ્યાનમાં નથી. 'વીડિયો બાબતે હું સાયબર ક્રાઈમમાં અરજી આપવાનો છું'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વીડિયો બાબતે હું સાયબર ક્રાઈમમાં અરજી આપવાનો છું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ બાબતે હું માનહાનિનો દાવો પણ કરીશ. વીડિયો વાઇરલ કરનાર જે ન્યૂઝ પોર્ટલ છે તેણે જવાબ પણ આપવો પડશે. શહેર પ્રમુખ માધવભાઈ સાથે મારે કોઈ વાત થઈ નથી કે તેમનો કોઈ ફોન આવ્યો નથી. તેને અમારા સૌ કાર્યકર્તાઓ પર સંપૂર્ણ ભરોસો છે કે અમારો એકપણ કાર્યકર્તા આ પ્રકારનું ખોટું કામ કરે નહીં. 'પૂર્વ કોર્પોરેટરને રૂબરૂમાં કાર્યાલય બોલાવી વાત સાંભળીશ'આ મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને અગાઉ પણ આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવ્યા છે, તેમ આ કિસ્સામાં પણ ચોક્કસપણે પગલાં લેવાશે. અનિલભાઈ મકવાણા પૂર્વ કોર્પોરેટર અને સરકારમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. વાઇરલ વીડિયોમાં તેઓ કોઈ વ્યક્તિ સાથે પૈસાની લેતી-દેતી અંગે વાત કરી રહ્યા છે. આ કઈ બાબતની વાત છે અને શું હકીકત છે તે અંગે તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવશે. હાલ તેમનો ફોન સ્વિચ ઓફ હોવાથી રૂબરૂમાં કાર્યાલય બોલાવી સંપર્ક કરી તેમની વાત સાંભળવામાં આવશે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપમાં કોઈ કાર્યકર્તા અન્ય કોઈના વિરુદ્ધ ષડયંત્ર કરે તેવી વાતમાં તથ્ય નથી.
મોરબીમાં જુદા જુદા ત્રણ આપઘાતના બનાવ સામે આવ્યા છે. એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ત્રણેય ઘટનાઓની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં, મૂળ મધ્યપ્રદેશની અને હાલ મોરબીના લીલાપર રોડ પર વિદ્યુત સ્મશાન સામે આવેલી ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી (ઉં.વ. 28) નામની મહિલાએ ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (ઉં.વ. 30, હાલ સુરત)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નોંધ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા છેલ્લા પાંચ વર્ષથી એકલી રહેતી હતી અને એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. બીજા બનાવમાં, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ. 35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. યુવાનનું મોત થતાં તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં, મોરબીના માધાપર શેરી નંબર 18 ખાતે રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર (ઉં.વ. 58) નામના મહિલાએ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અલગ અલગ બનાવ બન્યા છે, નારોલ વિસ્તારમાં રહેતા વેપારીને ગાડી વેચ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવ્યું નહીં અને પૈસા મેળવી લીધા હતાં. વેચેલી ગાડી પોલીસમાં જમા કરાવવા માટે કહ્યું હતું, જોકે તેના પૈસા પરત માંગતા પૈસા આપ્યાં નહોતા. અવારનવાર વાયદાઓ કરી પૈસા પરત ના આપતા પોલીસ ફરિયાદ કરી છે. જ્યારે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં દુકાન પડાવી લેવાના બહાને ભાડા કરાર કર્યો હતો. ત્યારબાદ બનાવટી બાનાખત બનાવી ખોટી સહીઓ કરી અને બળજબરીથી દુકાન પડાવી લઈ છેતરપિંડી કરી છે. પોલીસે છેતરપિંડીના ગુના નોંધી આમ તપાસ શરૂ કરી છે Creta ગાડી 13 લાખમાં લેવાનું નક્કી કર્યું'તુંનારોલ વિસ્તારમાં મોની હોટલ પાસે આવેલી વૃદૂલ પાર્ક સોસાયટીમાં હરેશભાઈ ચાવડા રહે છે જેઓ ગોડાઉન ખરીદ વેચાણનું કામ કરે છે તેમની ઓફિસની નજીક અક્ષય પ્રજાપતિ નામના વ્યક્તિની મોબાઇલની દુકાન આવેલી છે જેથી તેને ઓળખે છે. હરેશભાઈને સેકન્ડમાં ગાડી લેવાની હોવાથી અક્ષય પ્રજાપતિને વાત કરી હતી. 18 ઓગસ્ટ 2024ના દિવસે અક્ષય પ્રજાપતિએ કાળા કલરની Hyundai Creta ગાડીના ફોટા બધા વેચાણમાં આવી છે, જેથી જે ગાડી જોવા માટે બીજા દિવસે બપોરે ગયા હતાં. હરેશભાઈએ તેમના પરિવારના સભ્યોને લઈ ગયા હતા અને ગાડી જોઈ હતી બેથી ત્રણ માસ જૂની છે અને 15 લાખ રૂપિયા ભાવ છે. પરંતુ ઓછા ભાવે વેચવાની છે તેમ કહી 13,00,000માં લેવાનું નક્કી કર્યું હતું. 'મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે, વેચેલી ગાડી જમા કરાવીશું તો છોડી દેશે'ક્રેટા ગાડીમાં બેસીને અક્ષય પ્રજાપતિને રોકડા 6.55 લાખ રૂપિયા આપ્યા હતા, બાદમાં અલગ અલગ રીતે ટુકડે ટુકડે કુલ 10 લાખ રૂપિયા આપ્યા હતા અને ગાડી હરેશભાઈને આપી દીધી હતી, બાદમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે કહ્યું હતું. એક સપ્ટેમ્બર 2024 ના રોજ અક્ષયના પિતાએ હરેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે અને તમને વેચેલી ગાડીને જમા કરાવીશું તો અક્ષયને છોડી દેશે. ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરીજેથી હરેશભાઈએ કહ્યું હતું કે, ગાડીના 10 લાખ રૂપિયા આપી દો. જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી પાસે પૈસા નથી અમારી માલિકીની દુકાન અને ફોરવ્હિલરની ગાડીની ચાવીઓ તમને આપીએ છીએ જેનું કાયદેસરનું લખાણ કરી આપીશું. ત્યારબાદ જયંતિ પ્રજાપતિએ ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરતા તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોટા બાનાખત કરી મહિલાની દુકાન પડાવી લીધીમૂળ ધોળકાના રાધનપુરી વાડમાં રહેતા ફારુકભાઈ રાધનપુરી ધોળકામાં જ કાપડનો વેપાર કરે છે. જુહાપુરામાં રોયલ અકબર ટાવરમાં વર્ષ 2001માં તેમની માતાના નામે દુકાન ખરીદી હતી. વર્ષ 2014માં આ દુકાન નાવેદ ખાન મહેંદી નામના વ્યક્તિને ભાડે આપવામાં આવેલી હતી. જેનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે વર્ષ સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો. 2016 સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો જેની મુદત પૂરી થતાં નાવેદ ખાન અને તેમના પુત્રને વાત કરતા નવો કરાર કર્યો નહોતો અને અવારનવાર દુકાન માલિક ફારુકભાઈની માતાને ધક્કા ખવડાવતા હતા દુકાન ખાલી કરવા માટે કહ્યું છતાં પણ તેઓ ભાડા કરાર નહીં કરે દુકાન ખાલી નહીં કરે અને ટેક્સ પણ નહીં ભરે એવી વાત કરી હતી. મહિલાઓ કોઈપણ પ્રકારનો બાનાખત કરી આપ્યો નથીદુકાન ખાલી કરવા અંગે વાત કરી ત્યારબાદ પણ વર્ષ 2021માં ઝોન 7 ડીસીપીને આ મામલે અરજી કરી હતી અને જેની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેથી નાવેદ ખાનને પોલીસ સ્ટેશન બોલાવતા તેમણે કહ્યું હતું કે દુકાન માલિક જૈનબબીબીને રૂપિયાની જરૂરિયાત પડતા વર્ષ 2018માં તેમણે ટુકડે ટુકડે રૂપિયા 15 લાખ રૂપિયા આપ્યા છે અને તેનો બહાનાખત કરી આપ્યો છે તેવું બતાવ્યું હતું. બાનાખતની નકલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. જૈનબ બીબીએ કોઈપણ પ્રકારનો બહાનાખત કરી આપ્યો નથી જેથી નાવેદખાને રજૂ કરેલા બહાના ખતમાં તેમની સહી હતી જે ખોટી સહી હોવાનું ધ્યાને આવ્યું હતું. FSLની ખરાઈમાં સહિઓ ખોટી હોવાનું ખુલ્યુંનાવેદખાને ખોટા બાનાખતના આધાર બતાવીને કોર્ટમાં દાવો દાખલ કરી દીધો હતો અને ખોટા બહાનાખત કરાર બનાવવામાં આવ્યા હતાં. જે બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત બાદ FSL કચેરીમાં ખરાઈ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જે FSLની ખરાઈ થઈને આવી હતી જેમાં ખોટી સહી હોવાનું ધ્યાને આવતા આ મામલે વેજલપુર પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોટાદ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:સ્થાનિક ચૂંટણી જીતવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું
બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને આગામી જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોટાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. ટ્રેનર તરીકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ શીલું અને ભાવનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ હાજરી આપી હતી. તેમણે સેક્ટર અને મંડળ પ્રમુખોને જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીઓ કેવી રીતે જીતવી, લોકસંપર્ક કેવી રીતે વધારવો, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના ઉપાયો તેમજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ એમ. ચાવડા, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, માજી પ્રમુખ રમેશભાઈ મેર, કોંગ્રેસના વિરલભાઈ કટારિયા તેમજ મહિલા પ્રમુખ ગીતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે, ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા આગામી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસને વિજય અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડ દ્વારા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે એક એક અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં કિડનીની જરૂરિયાત અને તેની જાળવણી અને મહત્વની કેટલીક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ કિડની દિવસની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ કિડનીના સ્વાસ્થ્ય અને રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે વિશ્વભરમાં વિશ્વ કિડની દિવસ ની ઉજવણી 12 માર્ચ કરવામાં આવી છે. કિડનીના રોગો વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને અસર કરે છે. તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ, હાઇ બ્લડપ્રેસર અને આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે. ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ અને હાઇ બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે. કિડનીના રોગોના લક્ષણો જોવામાં આવે તો પગ હાથ અથવા ચહેરામાં સોજા આવવા, હાઇબ્લડ પ્રેશર હોવું, લોહીની ઉણપ અથવા એનીમીયા, હાડકાની સમસ્યાઓ જેવી કે હાડકાની નબળાઈ. કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકોએ નિયમિત તપાસ કરાવવી. સારી આરોગ્યશૈલી અપનાવવી અને રોગોના લક્ષણોને ઓળખવા માટે જાગૃત રહેવું જોઇએ. આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડના ડિરેકટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ જણાવ્યું હતું કે વિશ્વ કિડની દિવસે અમે લોકોને જાગૃત કરવા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ રોગથી બચી શકાય છે પરંતુ તેના માટે જાગૃતતા હોવી જરૂરી છે. સમયસર ચેકઅપ થવું જોઈએ જેથી તેની સમયસર સારવાર થઇ શકે તો આ રોગથી અવશ્ય મુક્તિ મળી શકે તેમ છે.
વલસાડમાં કચરાના ટ્રેક્ટરે વાહનોને અડફેટે લીધા:પાલિકાએ અજાણ્યાને ટ્રેક્ટર આપતા MG રોડ પર અફરાતફરી
વલસાડ શહેરના વ્યસ્ત એમ.જી. રોડ પર આજે સવારે નગરપાલિકાના કચરાના ટ્રેક્ટર દ્વારા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા દુકાનો બહાર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ, પાલિકા દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિને ટ્રેક્ટર ચલાવવા અપાતા આ ઘટના બની હતી. સવારના સમયે જ્યારે બજારમાં લોકોની અવરજવર શરૂ થઈ હતી, ત્યારે પાલિકાનું કચરો ઉઠાવવાનું ટ્રેક્ટર એમ.જી. રોડ પર ટાવર પાસેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈક્સ તેમજ અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. ઘટના સ્થળે હાજર લોકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેક્ટરનો અસલી ડ્રાઈવર હાજર નહોતો અને ટાવર પાસેથી કોઈ અજાણ્યા શખ્સને ટ્રેક્ટર ચલાવવા માટે આપી દેવાયું હતું. બિનઅનુભવી વ્યક્તિના હાથમાં સરકારી વાહન સોંપવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તેમનું કહેવું છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, ભરેલા બજારમાં આવી રીતે બિનઅનુભવી માણસને ટ્રેક્ટર સોંપવું એ પાલિકાની ઘોર બેદરકારી છે. જો કોઈ રસ્તે ચાલતું વ્યક્તિ અડફેટે આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાત. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે વલસાડ નગરપાલિકા આ ઘટનામાં જવાબદાર કર્મચારી કે ડ્રાઈવર સામે કેવા પગલાં ભરે છે. શું અજાણ્યા વ્યક્તિને વાહન સોંપનાર સામે તપાસ થશે કે પછી આ મામલો થાળે પાડી દેવાશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી ધરપકડ કરી લાવતી વખતે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આરોપીને ગુજરાત લવાતો હતોSMCની ટીમ ગુજસીટોકના ગુનાના આરોપી શકાજી ડાંગીની રાજસ્થાનથી અટકાયત કરી ગુજરાત લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક માર્ગ પર આરોપીએ પોલીસને ચકમો આપી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે SMCની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા હાથે વાગી હતી. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઈજાગ્રસ્ત આરોપીને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા SMCના ઉચ્ચ અધિકારીઓ સહિત એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરી અને LCB PI ડી.સી. સાકરીયા કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તબીબો દ્વારા આરોપીની સારવાર ચાલી રહી છે.
ગુજરાત સરકારે રાજ્યના સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના GSR 29(E) નિયમો મુજબ રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (RVSF) મારફતે જ કરવામાં આવશે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે સરકારે જણાવ્યું છે કે, અનેક વિભાગોમાં એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે, જેઓ નક્કી કરેલી સમયમર્યાદા અને કિલોમીટર મર્યાદા પાર કરી ચૂક્યા છે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે અને તેમની કાર્યક્ષમતા પણ ઓછી રહે છે. તેથી હવે તમામ વિભાગોને વાહનોના નિકાલ માટે એકસરખી પ્રક્રિયા અપનાવવા સૂચના આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ સરકારી વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો તેની સમીક્ષા કરવામાં આવશે. જો વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે. તે સિવાય 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાના રહેશે. વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશેસરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા વાહનોનો નિકાલ માત્ર Registered Vehicle Scrapping Facility (RVSF) મારફતે જ થશે. વાહનને કન્ડેમ (Condemn) જાહેર કર્યા બાદ તેની નોંધ સંબંધિત RTO/ARTO કચેરીમાં કરવામાં આવશે અને પછી સ્ક્રેપિંગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરાશે. વાહનના નિકાલ માટે તેની નિલામી કિંમત નક્કી કરતી વખતે મૂળ ખરીદી કિંમતમાંથી અંદાજે 4 ટકા દર વર્ષે ઘટાડીને મૂલ્યાંકન કરવામાં આવશે. જો વાહનની મૂળ કિંમતની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમાન મોડલના વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશે. સ્ક્રેપિંગ પ્રક્રિયા MSCTC અને GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ટેન્ડર અથવા હરાજી દ્વારા કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેનારા બિડર્સમાંથી સર્વોચ્ચ બોલી આપનારને વાહન સ્ક્રેપ માટે આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે જિલ્લાકક્ષાએ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, RTO પ્રતિનિધિ અને સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ વાહનની સ્થિતિ, ઉપયોગિતા અને તેની નિલામી કિંમત અંગે અંતિમ નિર્ણય કરશે. સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશેસરકારે વધુમાં જણાવ્યું છે કે આ નિયમો GSRTCના વાહનો, ગૃહ ખાતાના વાહનો, પોલીસ વિભાગના વાહનો તેમજ માર્ગ અને મકાન વિભાગના વાહનો સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોને લાગુ પડશે. નવી માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ આગામી સમયમાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં જૂના સરકારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે, જેના કારણે સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે.
ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, નાગરિકોને હીટવેવની પ્રતિકૂળ અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અધિક કલેક્ટર કે.આર. પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. આ ફેરફાર જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોને લાગુ પડશે. અગાઉ આ કેન્દ્રો સવારે 10:30 થી સાંજના 6:10 કલાક સુધી કાર્યરત હતા. નવા નિર્ધારિત સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી 4 થી સાંજના 6 કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે 1 થી 4 દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે, જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય. આ નવું સમયપત્રક 13 માર્ચ, 2026 થી 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જનતાને આ સમયગાળાની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ દ્વારા જણાવાયું છે, જેથી અરજદારોને મુશ્કેલી ન પડે.
પાટણના નીલમ સિનેમા પાસે થયેલા ફાયરિંગમાં યુવકના મોત બાદ 24 કલાક વીતી ગયા હોવા છતાં ગતિરોધ યથાવત છે. હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ મામલે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગત દિવસે પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હત્યારાઓની ધરપકડ થઈ નથી. આથી પરિવારે હત્યારાને પકડવાની પોતાની માંગ પર અડગ રહીને મૃતદેહનો કબજો લેવાનો ઇનકાર કર્યો છે. હાલમાં મૃતકની લાશ ધારપુર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓની માંગ છે કે જ્યાં સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર માટે દેહનો કબજો લેવામાં આવશે નહીં. આ માંગ સાથે વહેલી સવારથી જ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારપુર ખાતે DYSP સહિત પોલીસની વિવિધ ટીમો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા પરિવાર અને સમાજના આગેવાનો સાથે સતત બેઠકો કરી તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવારે પોતાની માંગ પર મક્કમ રહીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર યથાવત રાખ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હોવાનું જણાવ્યું છે.
છેલ્લા કેટલાય દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ઘરેલુ ગેસ ઉપયોગ લેતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાતા એક એક બોટલ માટે તરસી રહ્યા છે. આજે સત્તત ત્રીજા દિવસે વડોદરામાં ગેસ એજન્સી આગળ લાંબીલંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ લોકો જાતે બુક જાળવી પાવતી મેળવવા માટે લાઈનમાં ઊભા રહેતા હોવાનું એજન્સીએ જણાવ્યુ હતું. વિવિધ ગેસ એજન્સીઓ પર સવારથી જ ગ્રાહકોની લાઈનઅમેરિકા -ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ગેસની અછત ઉભી થશે એવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે એવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. કેટલાક લોકોને એજન્સી પર ભરોસો નથી એટલે જાતે જ એજન્સી પર જઈ પાવતી મેળવી ગોડાઉન પર જઈ બોટલ મેળવી લે છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે બુકિંગનો આંકડો 8 હજારથી 12 હજારે પહોંચ્યોવડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં IOCL દ્વારા 6 હજાર, SPCL દ્વારા 5 હજાર અને BPCL દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બુકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. 'ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું, લાઇન જોઈને જતો રહું છું'સવારથી લાંબી કતારમાં ઉભેલા ગ્રાહક પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે,અહીંયા બહુ તકલીફ પડે છે, ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું. લાઇન જોઈને જતો રહું છું. આજે નક્કી કર્યું કે ભલે ગમે તે થાય લાઈનમાં ઊભા જ રહેવું છે. આટલા તાપમાં પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. ગરમી સખત પડી રહી છે. અત્યારે ઓનલાઇન બુકિંગમાં પણ આ લોકોનું સર્વર ડાઉન છે, એટલે બુકિંગ નથી થતું. મેં બુકિંગ કરાવ્યું છે છતાં પાવતી મેળવીશ તો જ બોટલ મળશે તેવું અહીંથી જાણવા મળ્યું છે. ‘એક કલાકથી ઊભો છું હજુ સુધી મારો વારો આવ્યો નથી’અન્ય એક ગ્રાહક ઓમપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા મુશ્કેલી પડી રહી છે. લાઈન તો ખૂબ જ છે. એક કલાકથી વધુ સમય થયો પરંતુ, લાઈન પૂરી થતી નથી. અમુક લોકોનું બુકિંગ થાય છે અને કેટલાકનું થતું નથી. બુકિંગ વગર બોટલ મળતી નથી એટલે બે દિવસ એમને એમ થઈ ગયા છે. બુકિંગ કર્યા પછી આપણને પાવતી આપે છે તે લઈને જવું પડે છે. તેઓ આપવા આવે તો પણ 15-20 દિવસ જેટલો સમય લાગશે. ‘હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય’અન્ય એક ગ્રાહક મહેશભાઈ બોધવાનીએ જણાવ્યું હતું કે, હું વારસિયાનો રહેવાસી છું. અને હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય છે. બીજા કે ત્રીજા દિવસમાં આવી જાય છે. આ લોકો સમજતા નથી. આ લોકોને અત્યારે એવું કહે છે કે, તમે લોકો અહીંયા પાવતી ફડાવો એના પછી તમારે 15 દિવસમાં આવશે તે વાત શક્ય નથી.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવસારી પહોંચ્યા:પરિવાર સાથે સર્કિટ હાઉસ ખાતે આગમન, કલેકટરે આવકાર્યા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સપરિવાર નવસારીની મુલાકાતે આવ્યા છે. તેઓ નવસારીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ 15 માર્ચના રોજ સુરત ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે, તે પૂર્વે તેઓ નવસારી આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે તેઓ નવસારીમાં પોતાના મિત્રને મળવા આવ્યા છે. તેઓ પરિવાર સાથે નવસારીના ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાતને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તથા પ્રોટોકોલ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામનાથ કોવિંદ 13 માર્ચના રોજ નવસારીમાં રોકાણ કર્યા બાદ સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના તમામ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, શહેરમાં નવી આંગણવાડીઓ બનાવવા માટે જગ્યાની શોધ અને જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે, તેમને સરકારી ભવનમાં ખસેડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, આંગણવાડી કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય અને વીજળી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, કુપોષિત બાળકોની ઓળખ કરી તેમને પૌષ્ટિક આહાર અને સારવાર પૂરી પાડવા માટે 'પોષણ ટ્રેકર' એપ્લિકેશનનો સચોટ ઉપયોગ કરવા જણાવાયું છે સાથે જ MMY અને THR (ટેક હોમ રાશન) નું વિતરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે, 'ફેસ રેકગ્નિશન સિસ્ટમ' (FRS) દ્વારા હાજરી પૂરવાની પ્રક્રિયાને વધુ વેગવંત બનાવવા સૂચના આપવામાં આવી હતી, આ બેઠકના અંતે તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને માનદ વેતન સમયસર મળે અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા, આ બેઠકમાં કમિશ્નર એન.કે. મિણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાટણ નગરપાલિકા દ્વારા ₹19 કરોડથી વધુના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો છે. પાટણના નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા હતી. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રાજ્ય સરકારમાં કરાયેલી રજૂઆતના પગલે ₹19 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત શહેરના ધાનાવાડા છાપરા, પીતાંબર તળાવ, માહી રેસિડેન્સી અને રેલવે નાળા જેવા વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવશે, જ્યાં દર વર્ષે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, પ્રમુખ બન્યાના ત્રીજા દિવસે જ તેમણે પાણી ભરાવાની સમસ્યા જોઈ હતી અને સરકારમાં દરખાસ્ત મોકલી હતી. આ પ્રોજેક્ટની કામગીરી આગામી એક માસમાં શરૂ થશે અને આગામી વરસાદની ઋતુ પહેલા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આ પ્રોજેક્ટથી મોટી રાહત મળશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે દેવચનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, પરેશન પટેલ, પક્ષના નેતા દશરથ સહિત અન્ય નગરસેવકો અને વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક કોરડો વીંઝાયો છે. મિનરલ વોટર વેચતા વેપારીઓ અને પ્લાન્ટ સંચાલકોએ પાણીના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા પાછળ મુખ્ય કારણ ઇઝરાયેલ અને ગલ્ફ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ છે, જેના કારણે પ્લાસ્ટિકના રો-મટીરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્લાસ્ટિકના જારના ભાવમાં 40% થી વધુનો ઉછાળોમિનરલ વોટરના વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 20 લિટરના પ્લાસ્ટિક જારના ભાવમાં મોટો ભડકો થયો છે. માત્ર 7 દિવસ પહેલા જે પ્લાસ્ટિકનો જાર 125માં મળતો હતો, તેનો ભાવ હવે વધીને 180 થઈ ગયો છે. એટલે કે માત્ર એક અઠવાડિયામાં 55નો સીધો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારાને કારણે મિનરલ વોટર પ્લાન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 10ની પાણીની બોટલ હવે 15માં મળશેસામાન્ય રીતે મુસાફરી દરમિયાન કે બજારમાં મળતી 10ની મિનરલ વોટરની નાની બોટલ હવે 15માં વેચાઈ રહી છે. પ્લાસ્ટિકના દાણા મોંઘા થતા બોટલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઈ છે. ગેસની અછત અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને કારણે છૂટક વેચાણમાં 5નો વધારો નોંધાયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે. ગલ્ફ કન્ટ્રી અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ જવાબદારવૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ નક્કી કરવામાં ગલ્ફ કન્ટ્રીઝ (ખાડી દેશો) મહત્વનો ભાગ ભજવે છે. ઇઝરાયેલ અને પડોશી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. પ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી પેટ્રોકેમિકલ્સ આ દેશોમાંથી આવતા હોવાથી તેની અછત સર્જાઈ છે. પરિણામે, સ્થાનિક બજારમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર અસરસુરત એક ઔદ્યોગિક શહેર છે, જ્યાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટ્સ આવેલા છે. આ એકમોમાં દરરોજ લાખોની સંખ્યામાં 20 લિટરના પાણીના જાર મોકલવામાં આવે છે. પાણીના ભાવ અને જારના ભાવ વધતા હવે કારખાનાના માલિકો અને વેપારીઓ માટે આ ખર્ચ મેનેજ કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને શ્રમિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી હવે મોંઘી પડશે. ઉનાળાની સિઝનમાં જનતાને બેવડો ફટકોમાર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પાણીની માંગમાં પણ વધારો થયો છે. એક તરફ પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે, તો બીજી તરફ ઉપલબ્ધ પાણીના ભાવ પણ વધી રહ્યા છે. ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ મોંઘી થશે તો ઘર ચલાવવું મુશ્કેલ બનશે. વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે મજબૂરીમાં આ ભાવવધારો ગ્રાહકો પર નાખવો પડી રહ્યો છે. વેપારીઓ અને સામાન્ય લોકોની હાલત કફોડીપ્લાસ્ટિકના જાર અને બોટલોના ભાવમાં અચાનક થયેલા વધારાથી વેપારીઓ પણ મૂંઝવણમાં છે. સાત દિવસમાં આવેલો 55નો વધારો અકલ્પનીય છે. હાલમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોથી લઈ રહેણાંક વિસ્તારો સુધી પીવાના પાણીના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ શાંત નહીં થાય, તો પાણીના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. વેપારી હિતેશ વણઝારાએ જણાવ્યું હતું કે, અમારે એક ટાઇમ પર આ જે 20 લિટરની બોટલ છે, એ 110થી 115 રૂપિયામાં મળતી હતી અને આજની તારીખમાં અમારે 180 રૂપિયાનો ભાવ સાંભળવામાં આવ્યો છે. કાલે અમે 155માં ખરીદી હતી બોટલ અને આજે ભાવ 180 રૂપિયા છે. ડીલરને તો હવે નુકસાન જ છે કેમ કે જે બોટલ એ લોકો 125 રૂપિયામાં ખરીદતા હતા એ લોકોને સીધો 50 રૂપિયાનો વધારો મળ્યો છે, તો હવે ડીલરોને તો નુકસાન જ છે ને. એક બોટલ પર 50 રૂપિયા વધી જાય એટલે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી. વિકાસકાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો આ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપી હતી. જોકે, વિપક્ષે આ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. ‘ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી’ : પ્રમુખ આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી છે. ‘વિપક્ષે રોડ પર જઈ તપાસ કરી પછી વાત કરવી જોઈએ’ પ્રમુખ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા એ વિપક્ષનું કામ છે. તેમણે વિપક્ષને સલાહ આપી કે, વિપક્ષે રોડ પર જઈને તપાસ કરીને વાત કરવી જોઈએ, માત્ર જનરલ બોર્ડમાં આવીને બૂમો પાડવી અને મીડિયા સામે આવવું એ તેમનું કામ છે. ‘ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી’ : વિપક્ષ પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સરફરાઝ સિંધીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. તેમણે સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો, જેમાં વાર્ષિક 23 લાખના મેન્ટેનન્સ સામે 1 કરોડ 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. સિંધીએ 12 કરોડના માનસરોવર પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટને પણ ભ્રષ્ટાચાર સાથે જોડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
વડોદરા શહેરના તરસાલી બાયપાસના શ્રીજી આંગણ સોસાયટી ખાતે પારિવારિક ઝઘડામાં છોડાવવા પોલીસ ગઈ હતી. દારૂના નશામાં એક શખ્સે 112 વાનના ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યો હતો. આ મામલે કપુરાઇ પોલીસે પોલીસની ફરજમાં અડચણ અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 112 હેલ્પલાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતીવડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 112 ઇન્ચાર્જ અનાર્મ હેડ કોસ્ટેબલ ચેતનસિંહ વિક્રમસિંહ દ્વારા નોંધાવેલી ફરીયાદ મુજબ 12 માર્ચ 2026ના રોજ 112 હેલ્પલાઈનની ટીમ ફરજ પર હતી. સાંજે કંટ્રોલ રૂમથી ઓફેન્સ અગેન્સ્ટ વુમન ડોમેસ્ટિક વાયોલન્સ અંગેનો ઇવેન્ટ મળતા ટીમ તુરંત જ તરસાલી બાયપાસ વિસ્તારમાં આવેલ શ્રીજી આંગણ સોસાયટી ખાતે પહોંચી હતી. બે શખ્સ દારૂના નશામાં ધમાલ કરતા હતાસ્થળ પર પહોંચતા બે વ્યક્તિઓ દારૂના નશામાં ધમાલ કરતા જોવા મળ્યા હતા. પોલીસ ટીમે બંનેને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ બિપીનભાઈ વિનુભાઈ રોહિત અને વિનુભાઈ કાલિદાસ રોહિત તરીકે થઈ હતી. બંને દારૂના નશામાં હોવાનુ જણાતા પોલીસે તેમને કાબૂમાં લઇ 112 બોલેરો ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યોઆ દરમિયાન આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિતે પોલીસ સાથે આવેલા ડ્રાઈવર વિષ્ણુભાઈ કિશોરભાઈ બારીયા સાથે ઝપાઝપી કરી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. જેના કારણે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી થઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી વધારાની પોલીસ મદદ બોલાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધ્યોઆ બનાવ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 221 તથા 121(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂ પીધેલા હોવાને કારણે તેના વિરુદ્ધ અલગથી પણ કાર્યવાહી કરવામાં આવી છે.

36 C