સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એક સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 60 વર્ષના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકના એક ગામમાં 14 વર્ષની સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના ડોકટરો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તે જ ગામના 60 વર્ષીય આધેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીરા આરોપી ભરવાડ શાદુળભાઈ ભગાભાઇના ઘરે ઘરકામ કરવા જતી હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ બી. સી. છત્રાલીયા ચલાવી રહ્યા છે.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દરિયાકાંઠે આજે (15 માર્ચે) રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દરિયાના ઉછળતા મોજાંની મોજ માણવા ગયેલી એક મહિલા યાત્રિક અચાનક ઊંડા પાણીમાં તણાવા લાગી હતી. જોકે, કાંઠે હાજર સ્થાનિક યુવાનોની સમયસૂચકતા અને અદભૂત સાહસને કારણે મહિલાને નવજીવન મળ્યું છે. મોજમસ્તી બની જીવનું જોખમ રવિવારે બપોરે અંદાજે 3:30 વાગ્યાના સુમારે સોમનાથ બીચ પર યાત્રિકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક મહિલા પ્રવાસી દરિયાના મોજાંનો આનંદ લેવા કિનારાની નજીક ગઈ હતી. અચાનક સમુદ્રમાં કરંટ વધતા અને ઊંચા મોજાં ઉછળતા મહિલા સંતુલન ગુમાવી બેઠી હતી અને જોતજોતામાં દરિયાના ઊંડા પાણીમાં ખેંચાવા લાગી હતી. મહિલાને ડૂબતી જોઈ કિનારે ઉભેલા સહેલાણીઓમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક યુવકો બન્યા 'દેવદૂત' મહિલાનો જીવ જોખમમાં જોઈને ત્યાં રોજી-રોટી કમાતા સ્થાનિક યુવકોએ જરાપણ વિલંબ કર્યા વગર મેદાને પડ્યા હતા. બીચ પર ફોટોગ્રાફી કરતા યુવકો, ઘોડેસવાર અને ઊંટસવાર સહિત અંદાજે 10 જેટલા યુવાનો દોરડા લઈને દરિયામાં કૂદી પડ્યા હતા. દરિયાના પ્રચંડ મોજાં અને ખેંચાણ વચ્ચે આ યુવકોએ માનવ સાંકળ રચી અને દોરડાની મદદથી મહિલા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે દરિયાની બહાર કાઢી લાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોના મતે, જો આ યુવકોએ સેકન્ડોની પણ વાર કરી હોત, તો મહિલાનું મોત નિશ્ચિત હતું. સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, જો આ યુવાનો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી જાનહાનિ થઈ હોત. આ યુવકોએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર જે માનવતા બતાવી છે તે ખરેખર વંદનીય છે. નિષેધ હોવા છતાં બેદરકારી નોંધનીય છે કે, સોમનાથનો દરિયા કિનારો અત્યંત જોખમી માનવામાં આવે છે. અહીં અગાઉ પણ અનેક ડૂબી જવાની ઘટનાઓ બની હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરિયામાં નહાવા કે ઉતરવા પર પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં છે. તેમ છતાં, પ્રવાસીઓ ઉત્સાહમાં આવીને જોખમ ખેડતા હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.
સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના વંથલ ગામના આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી 'લાલો' નામ રાખી ગૌશાળામાં સેવા કરી રહ્યો હતો, જ્યાંથી સુરત પોલીસે તેને દબોચી લીધો છે. શું હતો સમગ્ર મામલો?બોટાદ જિલ્લાના બરવાળાનો રહેવાસી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39)એ ડિસેમ્બર, 2024માં એક વેપારી પાસેથી મોબાઈલ હેન્ડસેટ, સ્માર્ટ વોચ અને બ્લૂ-ટુથ જેવી એસેસરીઝ મળી કુલ રૂ. 11,79,499નો માલ ખરીદ્યો હતો. બજારના નિયમ મુજબ 30 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં તેણે પેમેન્ટ કર્યું નહોતું અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 'દર્શનાર્થી' બની છટકું ગોઠવ્યુંઆરોપીને પકડવા માટે પી.આઈ. એન.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ટી. ડોડીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી વિરમગામના વંથલ ગામે આવેલા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમમાં નામ બદલીને રહે છે. પોલીસની ટીમ દર્શનાર્થી બનીને આશ્રમમાં પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે 'લાલો' નામનો વ્યક્તિ ગૌશાળામાં સૂતો છે. પોલીસે મોકો જોઈ ગૌશાળામાંથી જ ઊંઘતી હાલતમાં ધનંજયને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસઆરોપી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39 રહે. પુરાણીયા શેરી, રામપરા ગામ, તા-બરવાળા, જિ. બોટાદ) સામે અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે. 2016માં વરાછા પોલીસ મથકે કલમ 406, 420 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જ્યારે હાલ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરીને ઝડપી પાડ્યો હતો.
નવસારીમાં ખનિજ વિભાગે ₹171 કરોડની વસૂલાત કરી:રોયલ્ટી આવક ₹100 કરોડને પાર, દ.ગુજરાતમાં સૌથી વધુ
નવસારી જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં ₹171.42 કરોડની વસૂલાત કરી છે, જ્યારે રોયલ્ટીની આવક ₹100 કરોડને વટાવી ગઈ છે. આ આવક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે, જે સરકારી તિજોરીને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ છે. ખનિજ ચોરી અટકાવવા માટે વિભાગે ત્રણ મુખ્ય સ્તરે કામગીરી કરી છે. ગેરકાયદે ખનનના 8 કેસમાં ₹1.42 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વાહનો દ્વારા થતી ગેરકાયદે વહનના 27 કેસમાં સૌથી વધુ ₹24.56 કરોડ વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગેરકાયદે સંગ્રહના 2 કેસમાં સ્ટોકિસ્ટો પાસેથી ₹2.27 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એપ્રિલ માસથી અત્યાર સુધીમાં કુલ 83 કેસમાં ₹64.69 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, કુલ 154 કેસની સામે ₹171.42 કરોડની માતબર રકમ વસૂલવામાં વિભાગને સફળતા મળી છે. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 182 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખનિજ સંપત્તિ ધરાવે છે. ખાસ કરીને ચીખલી તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલી બ્લેક સ્ટોનની ખાણો રોયલ્ટી પેટે સરકારને મોટી આવક પૂરી પાડે છે. આ આવક વધારવા માટે તંત્ર દ્વારા વધુ 13 નવી લિઝ પણ મંજૂર કરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગના સૂત્રો અનુસાર, વર્ષ 2025-26 માટે રોયલ્ટીની આવકનો અંદાજ ₹145 કરોડ રાખવામાં આવ્યો છે, જ્યારે વિભાગ ₹150 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ખનિજ માફિયાઓ દ્વારા થતી ચોરીને કારણે તિજોરીને થતું નુકસાન અટકાવવા આગામી દિવસોમાં હજુ વધુ કડક તપાસ હાથ ધરવામાં આવશે.
આજે સુરત ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા મહિલા પાંખ, કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મ સમાજની બહેનો માટે એક વિશેષ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરીઓ અને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો અને તેમને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળવાનો છે. આ રોજગાર મેળાનો મંગલ પ્રારંભ સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે સમાજની મહિલા આર્થિક રીતે સક્ષમ બને છે, ત્યારે આખો પરિવાર અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે. બ્રહ્મ સમાજ દ્વારા લેવામાં આવેલી આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વોકલ ફોર લોકલના આહવાનને વેગ આપવા માટે મેળાનું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના આહવાનને વેગ આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રદર્શિત કરવામાં આવેલી મોટાભાગની વસ્તુઓ બહેનો દ્વારા ઘરે અથવા નાના પાયે તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ થકી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું છે અને મહિલાઓને સીધા ગ્રાહકો સાથે જોડાવવાની તક મળી છે. બહેનોમાં છુપાયેલી કળા અને વ્યવસાયિક કૌશલ્ય જોવા મળ્યું આ મેળામાં કુલ 75થી પણ વધારે સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાણી-પીણી, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, કપડાં, ઘર સુશોભનની વસ્તુઓ અને આયુર્વેદિક ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે. બહેનોમાં છુપાયેલી કળા અને વ્યવસાયિક કૌશલ્ય અહીં જોવા મળી રહ્યું છે. મહિલાઓને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુંઆ રોજગાર મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર વેચાણ જ નહીં, પરંતુ મહિલાઓને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ અને માહિતી માટે વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા છે. નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતી બહેનોને સરકાર તરફથી મળતી લોન, સબસિડી અને અન્ય પ્રોત્સાહનો વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. જે યુવતીઓ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છે છે, તેમને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે પણ વિશેષ વ્યવસ્થાઆ મેળો માત્ર આર્થિક પ્રવૃત્તિ પૂરતો મર્યાદિત નથી. આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંગદાન જાગૃતિ અભિયાન માટેનો ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો છે, જ્યાં લોકોને અંગદાનનું મહત્વ સમજાવી સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બ્રહ્મ સમાજના વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 'ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજે અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું'જાગૃતિ બહેને જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે, જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે. મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે, તે લોકોને પ્લેટફોર્મ સારું એવું આજે મળી રહ્યું છે. અમારો એમાં આ કોટનનું કુર્તી અને તેનો સ્ટોલ છે, એકદમ રિઝનેબલ પ્રાઇસથી છે જે દરેક લોકો અફોર્ડ કરી શકે તેવું છે. અને સારી એવી અહીંયા આ લોકોએ વ્યવસ્થા કરી આપી છે, તો થેન્ક્યુ આ ફાઉન્ડેશનને અને બ્રહ્મ સમાજને કે એ લોકોએ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. રાજ્ય કક્ષા દ્વારા 75 સ્ટોલોનું બહેનો માટે આયોજન કરાયુંધારિત્રી બહેને જણાવ્યું હતું કે, આજે જે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા 75 સ્ટોલોનું બહેનો માટે આયોજન કર્યું છે કે જેથી રોજગાર મળી રહે, એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રીઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું. આ પ્લેટફોર્મ થકી અમે કઈંક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઈઝ પણ કરી શકીએ. તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં મંદિર બંધ થયા બાદ સામાજિક તત્વો દારૂ અને ચરસની મહેફીલ માણતા હોવાના મંદિર ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભગવાનના ધામમાં બેસીને જ અસામાજિક તત્વો જુગાર પણ રમે છે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?મળતી વિગત અનુસાર, ઘાટલોડિયામાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇને અરજી પણ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રામેશ્વર મહાદેવનું મંદિર તથા અમુલનો બગીચો વર્ષોથી સ્થાપિત છે. બગીચાનું સંચાલન અમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 'મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂનું સેવન'અરજી મુજબ, બપોરના સુમસામ સમયે 12:30થી 04:30 તથા રાત્રે 8:30થી આખી રાતના સમયગાળામાં અસામાજિક તત્વો દ્વારા મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂ જેવા પદાર્થોનું સેવન કરવામાં આવતું હોય છે. અભદ્ર ભાષા બોલે છે. જેનો વીડિયો પણ છે. મંદિરના પગથિયાં પર પાન મસાલા ખાઈને પિચકારી મારી ગંદકી પણ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટે પોલીસ સ્ટેશનમાં બે અરજી કરીમહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે અરજી કરવામાં આવી છે.જેમાં મંદિર અને બગીચાની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારાયું - PIઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ સી. જી. જોશીએ જણાવ્યું હતું કે, મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મંદિર આસપાસ કાયમી પોલીસનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. મંદિર દ્વારા કરવામાં આવેલી અરજી પર ત્વરિત પગલા લેવામાં આવ્યા છે.
જામનગર એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા બોગસ ક્લિનિકો પર દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરેડના શાંતિનગર અને સચાણા ગામમાંથી દવાઓ તથા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી સ્ટાફના ધર્મેન્દ્ર વૈષ્ણવ અને અશોકસિંહાને મળેલી બાતમીના આધારે દરેડના શાંતિનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જગદીશ મકવાણા નામનો શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર 'શ્રીજી ક્લિનિક' ચલાવતો હતો. તે દર્દીઓને તપાસી, ઇન્જેક્શન આપી અને બાટલા ચડાવી પૈસા વસૂલતો હતો. પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ અને દવાઓ સહિત રૂ. 4,910નો મુદ્દામાલ જપ્ત કરી પંચકોશી 'બી' પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. બીજી તરફ, એસઓજીના વિજયભાઈ કારેણ, જયેશભાઈ પેઢેરિયા અને તોશિફભાઈ તાયાણીને મળેલી બાતમી મુજબ, સચાણા ગામમાં વલીમામદ આમદભાઈ કકલની ઓરડીમાં મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ પાસે પણ કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથિક સારવાર આપતો હતો. પોલીસે અહીંથી રૂ. 2,335ની કિંમતની દવાઓ અને સાધનો કબજે કર્યા છે અને આરોપી વિરુદ્ધ પંચકોશી 'એ' પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એસઓજી પોલીસે બંને સ્થળોએથી કુલ રૂ. 7,245નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. એસઓજી પોલીસે એક જ દિવસમાં કુલ ચાર નકલી બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેના કારણે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નવસારીના વિજલપોરમાં એક કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મદદ કરવાને બદલે કારમાં સવાર બે શખ્સોએ એક્ટિવા ચાલકને ઢીકમુક્કીનો માર માર્યો હતો. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ ઘટનાનો અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 13 માર્ચના રોજ સવારે પોણા નવેક વાગ્યે બની હતી. વિજલપોરના રામનગર પાસે આવેલા સાઈ બંગલોઝમાં રહેતા 36 વર્ષીય રમાકાંત ગંગારામ સોનકર પોતાની એક્ટિવા (GJ-21-AE-4546) લઈને છાપરા રોડ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા. જીવંતિકા માતાના મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ સામે પાછળથી પૂરઝડપે આવી રહેલી મારૂતિ સુઝુકી વેગનઆર (GJ-21-CE-8850) ના ચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રમાકાંતભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને હાથ-પગ તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓ તેમને ઊભા કરી રહ્યા હતા ત્યારે વેગનઆર કારમાંથી ખારા અબ્રામાના અલ્પેશ રાજેશભાઈ પટેલ અને અંકુર રાજેશભાઈ પટેલ નીચે ઉતર્યા હતા. મદદ કરવાને બદલે અલ્પેશ પટેલે રમાકાંતભાઈને ગાળો આપવાનું શરૂ કર્યું અને 'તારી ભૂલના કારણે મારી કારને નુકસાન થયું છે' તેમ કહી જાહેરમાં તમાચા તથા ઢીકમુક્કીનો માર માર્યો હતો. આરોપીઓએ ઈજાગ્રસ્ત યુવકને રોડની સાઈડમાં લઈ જઈ ફરીથી માર માર્યો હતો અને કારમાં થયેલા નુકસાનના પૈસાની માંગણી કરી હતી. જોકે, યુવક પાસે પૈસા ન હોવાથી આરોપીઓ તેનું નામ અને મોબાઈલ નંબર લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રમાકાંતભાઈએ સૌ પ્રથમ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. ત્યારબાદ સ્વસ્થ થતા તેમણે જલાલપોર પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પૂરઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જવા તેમજ મારપીટ અને ગાળાગાળી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર એક મહિલાના હૈયાફાટ રુદન અને 'આમને ઉઠાવો, નહીંતર મરી જશે' તેવા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. નંદેસરી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારતા અકસ્માત સર્જાયોઅમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ફાજલપુર ગામ પાસેથી એક બાઈક પર 3 લોકો પસાર થઈ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર બે લોકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ ગયા હતા અને હાઈવે પર માંસના લોચા પડેલા જોવા મળ્યા હતા. જ્યારે એક વ્યક્તિના પગ પણ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે એક મહિલા તીવ્ર આક્રંદ કરતી જોવા મળીઅકસ્માતને પગલે હાઈવે પર ટોળેટોળા લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે ત્યાં હાજર એક મહિલા પોક મુકીને રડી રહી હતી અને તેમના હાથમાં રોડ પર એક મૃતદેહ હતો અને લોકોને મદદ માટે પોકારી રહી હતી કે, આમને કોઈ ઉઠાવો નહીં તો મરી જશે. તે દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાબાઈક પર સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે 2 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નંદેસરી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા કક્ષાનું સંમેલન પ્રાચી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી નાના ગીરધર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી કરસનભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જિલ્લાના છ તાલુકાઓમાંથી આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો અને વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા મજદૂર સંઘની નવી કારોબારીની રચના કરીને વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી. નવી કારોબારીમાં જિલ્લા પ્રમુખ તરીકે વિજયભાઈ મેરામણભાઈ કાછેલા (GHCL, સુત્રાપાડા)ની નિમણૂક કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ આર. વંસ (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા), જસુભા પી. જાડેજા (શ્રી સોમનાથ ટ્રસ્ટ, પાટણ), અસલમખાન બી.સી.ટી. (મૂળદ્વારકા, કોડીનાર), કંચનબેન આર. ગોસ્વામી અને પ્રતાપભાઈ કે. ખેર (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા)ની પસંદગી થઈ છે. જિલ્લા મંત્રી તરીકે પ્રતાપભાઈ મેરામણભાઈ કટારીયા, સહમંત્રી તરીકે નિલેશ છોટુપ્રસાદ મહેતો, સંગઠન મંત્રી તરીકે રામપાલ એમ. સોની અને અરજણભાઈ હરદાસભાઈની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે જયેશ રામજીભાઈ દેવડીયા (રેયોન ફેક્ટરી, વેરાવળ) અને કાર્યાલય મંત્રી તરીકે મુન્સીરામ સૈની (રેયોન, વેરાવળ)ની પસંદગી કરાઈ છે. આ સંમેલનમાં ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ અને આંગણવાડી કર્મચારી સંઘના નવા હોદ્દેદારોની પણ જાહેરાત થઈ. આરોગ્ય કર્મચારી સંઘમાં ગુજરાત પ્રદેશ આશા કર્મચારી મહાસંઘના મહામંત્રી તરીકે વેરાવળના નયનાબેન પરમારની પસંદગી કરાઈ. જિલ્લા પ્રમુખ તરીકે કુસુમબેન વંસ અને જિલ્લા મંત્રી તરીકે હંસાબેન વિસાવાડિયા સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘમાં પ્રમુખ તરીકે હંસાબેન સોલંકી (ઉના) અને જિલ્લા મંત્રી તરીકે કંચનબેન ગોસ્વામી (કોડીનાર) સહિત અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. સંમેલનમાં વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ. આગામી દિવસોમાં કર્મચારીઓના હિત અને સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી. પ્રદેશ મંત્રી નાના ગીરધર પાટીલે સંમેલનને સંબોધતા કર્મચારીઓને વધુ સંગઠિત બની પોતાના હકો માટે લડત આપવા આહ્વાન કર્યું. તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બની કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય રીતે કાર્ય કરશે.
સુરેન્દ્રનગરમાં સાયબર છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વીજ અધિકારીએ ₹10.69 લાખ ગુમાવ્યા છે. 77 વર્ષીય વૃદ્ધને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાના બહાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તા. 20 નવેમ્બર, 2025ના રોજ, વૃદ્ધના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પંજાબ નેશનલ બેંકનો સિમ્બોલ હતો અને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓને દર નવેમ્બરમાં આવા પ્રમાણપત્રની જરૂર પડતી હોવાથી, તેમણે તેને બેંકની ઓનલાઈન સુવિધા સમજીને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. કોલ પર 'આશિષ' નામના વ્યક્તિએ વાત કરી હતી. તેણે વૃદ્ધને એક APK ફાઇલ મોકલી અને તેને ઓપન કરીને જરૂરી વિગતો ભરવા જણાવ્યું હતું. વૃદ્ધે સૂચના મુજબ વિગતો ભરી દીધી હતી.વિગતો ભર્યા પછી લાંબા સમય સુધી તેમનું પ્રમાણપત્ર જનરેટ થયું ન હતું. આ દરમિયાન, તેમના બેંક ખાતામાંથી બે વાર ₹5 લાખ, ₹47,500, ₹9,000 અને ₹13,000 એમ કુલ ₹10,69,500 ઉપડી ગયા હતા. આ છેતરપિંડીનો અહેસાસ થતાં, વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ₹10,69,500ની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીઆઈ આર.એમ. સંગાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા જ મરડેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે ભોળાનાથના શિવલિંગ પર જલાભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મરડેશ્વર દાદાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતની નિરંતર પ્રગતિ, જનતાની સુખ-શાંતિ અને રાજ્યમાં સમૃદ્ધિ બની રહે તે માટે મહાદેવ પાસે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો:A ડીવીઝન પોલીસે ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારમાં એ ડીવીઝન પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ ₹1,86,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વાદીપરા શેરી નંબર 7માં ધાવડી માતાજીના ડેલા સામે રહેતો મુકેશ કાનજીભાઈ દેગામા પોતાના ઘરે દારૂનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી મુકેશ દેગામા સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે મકાનમાંથી દારૂની નાની-મોટી કુલ 528 બોટલો અને બીયરના 72 ટીન જપ્ત કર્યા હતા. આરોપી મુકેશ દેગામા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ વિજયસિંહ પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, ધ્રાંગધ્રા સીટી પોલીસે પણ એક અલગ કાર્યવાહીમાં બસ સ્ટેશન પરથી દિવ્યાંગ મહિલા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની કિંમત ₹5,940 આંકવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા બસ સ્ટેશનના બાકડામાં બેઠેલી એક દિવ્યાંગ મહિલા પાસે થેલીમાં દારૂ છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે મોરબી જિલ્લાના માળીયા ગામની 45 વર્ષીય ઝુલેખાબેન કરીમભાઈ સામતાણી પાસેથી વિદેશી દારૂના 33 ચપલા મળી આવ્યા હતા. મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એચસી બી.બી.પઢીયાર કરી રહ્યા છે.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસમાં પહેરો રાખવાનું શરૂ કરાયું છે. દરમિયાન જિલ્લામાં 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં એક ઘરમાંથી 38 ઘરેલું ગેસના ખાલી સિલિન્ડર મળી આવતા તે પણ કબ્જે કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાના તમામ મામલતદાર દ્વારા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે કુલ 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી મામલતદાર ગોંડલ (ગ્રામ્ય) દ્વારા 15 ભરેલા તથા 10 ખાલી એમ કુલ 25 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.45,410) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.11,038) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેર વિસ્તારમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના 38 ખાલી ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. જેની કિંમત રૂ.63,400 થાય છે. આ સાથે જ તમામ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને ઘરેલુ સિલિન્ડરના ગેરવપરાશ અંગે સમજણ આપવામાં આવી હતી. દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 18 ગેસ એજન્સીઓની તપાસણી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદાર (પુરવઠા) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ 1 મહેસુલી કર્મચારી સાથે 1 પોલીસ જવાનને મુકવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરાએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. 17 વર્ષીય ડિમ્પલ (નામ બદલ્યું છે) નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે એક મોબાઈલ દુકાન સંચાલક પર હેરાનગતિ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. એક દિવસની ટૂંકી સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. ડિમ્પલ તેના પરિવાર સાથે રહેતી હતી. ઘટનાના દિવસે તે કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી. તેની માતાએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં, ડિમ્પલને મન દુઃખ લાગી આવ્યું હતું. આ પછી તેણે સુસાઇડ નોટ લખી એસિડ ગટગટાવ્યું હતું. પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં જ તેઓએ સગીરાને બચાવવાના પ્રયાસો કર્યા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન સગીરાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સગીરાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ સુસાઇડ નોટમાં મોબાઈલ દુકાનના સંચાલક દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
બોટાદના ફાડરવાળા મેલડી મંદિરે મહાપ્રસાદ યોજાયો:ડાકડમરુ કાર્યક્રમમાં 15 હજારથી વધુ ભક્તોએ લાભ લીધો
બોટાદ જિલ્લાના આસ્થા કેન્દ્ર શ્રી ફાડરવાળા મેલડી માતાજી મંદિરે મહાપ્રસાદ અને ડાકડમરુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૧૫ હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આ ભવ્ય આયોજન કરાયું હતું. મહાપ્રસાદ બાદ મેલડી માતાજીના ગુણગાન માટે ડાકડમરુનો કાર્યક્રમ યોજાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સમગ્ર આયોજન શ્રી શિવા ભગત અને મંદિરના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્તોએ પણ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની 'જય અંબે પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક' નામની પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોલિંગ પેપર તેમજ ગોગો કોન (પ્રિ-રોલ્ડ સ્મોકિંગ કોન) જેવા પ્રતિબંધિત સ્મોકિંગ સામગ્રીનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ મળી આવ્યાપોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગધેડા માર્કેટ વિસ્તારમાં પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, આ દુકાનમાં ગોગો રોલિંગ પેપર અને સંબંધિત પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે વારસિયા પોલીસે દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનદાર ધર્મેશ જગદીશ રાજપૂત (ઉંમર 26, રહે સતાધાર સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. દુકાનના કાઉન્ટર પરથી પોલીસને ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ તથા રોલિંગ પેપરના 8 નંગ મળી આવ્યા હતા. જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ રોલિંગ પેપર અને ગોગો કોન જેવી સ્મોકિંગ સામગ્રીના સંગ્રહ, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ વારસિયા પોલીસે ધર્મેશ રાજપૂત સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગરના મેદરા ગામની સીમના સર્વે 172ની જમીન પચાવી પાડવાના ઇરાદે 25 થી 30 જેટલા અજાણ્યા શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે સિક્યુરિટી ગાર્ડ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ડભોડા પોલીસે ટોળાં વિરુધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 25થી 30 લોકોના ટોળાએ હુમલો કરી તોડફોડ કરીગાંધીનગરના મેદરા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 172 વાળી જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે તેઓ અન્ય ગાર્ડ્સ અને ઇન્ચાર્જ જીગરભાઈ ચૌધરી સાથે હાજર હતા. ત્યારે અચાનક લાકડીઓ અને ધારિયા જેવા હથિયારો સાથે 25 થી 30 શખસોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. બાદમાં હુમલાખોરોએ જમીન પર પોતાનો હક જતાવતા બૂમો પાડવાનું શરૂ કર્યું હતું અને બિભત્સ ગાળો આપી હતી. ગાર્ડ્સે બચાવ માટે લોખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો હોવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ દરવાજો તોડી પાડી અંદર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ ત્યાં મારેલા બોર્ડની પણ તોડફોડ કરી અંદાજે 22 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલામાં દીપક કમશી રબારી,બળદેવ પુંજાભાઇ ચૌધરી ,બકુલ ધામેલીયા,,સતીષ દેવાજી ઠાકોર, પ્રધ્યુમન ચંદ્રવિહાર પરમાર, સત્યેન્દ્રસિહ અમરસિંહ રાજપુર, અભય સંજયસિંહ રાજપુત , ડી. કે. રબારીના ટોળાંએ લાકડીઓ ધારીયા વડે હુમલો કર્યો હતો. આ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ્સને ગડદાપાટુનો માર માર્યો હતો અને જો જમીન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ગંભીર ધમકીઓ આપી હતી.બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસે રાયોટિંગ, મારામારી અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલ બહાર યુવકની હત્યા કરવામાં ઓઆવી છે. કેટલાક ઈસમો દ્વારા આશિષસીંગ રાજપૂત નામના યુવક પર કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને પગલે મૃતકના પરિવારજનો ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમજ ડિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (મેટ્રો રેલવે)માં રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનારા કર્મચારીઓ આજે 15 માર્ચના રોજ બપોરે હડતાલ પર ઉતરી ગયા હતા. ઇન્કમટેક્સ નજીક ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે 100 જેટલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડના આક્ષેપ છે કે, તેમને નક્કી કરેલા પગાર કરતા ઓછો પગાર આપવામાં આવે છે. હકની રજા આપવામાં આવતી નથી અને ઓવરટાઈમનો પણ ચૂકવતો પગાર આપવામાં આવતો નથી. જે સુપરવાઇઝરને તેમણે ફરિયાદ કરી હતી અને તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તેમને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જેથી તેમને નોકરીમાં પરત લેવામાં આવે અને માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો. ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શનઅમદાવાદની લાઈફ લાઇન ગણાતી એવી મેટ્રો ટ્રેનમાં રેલવે સ્ટેશન અને અન્ય જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સિક્યુરિટી ગાર્ડોએ ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન નીચે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંદાજે 100 જેટલા ગાર્ડોએ ગૌરવ સિક્યુરિટી એજન્સી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પુષ્પાબેન રાજપૂત નામના મહિલા સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ગૌરવ સિક્યુરિટીમાં અમે નોકરી કરીએ છીએ અગાઉ અમને ₹496 રૂપિયા પ્રતિ દિવસના ચૂકવવામાં આવતા હતા હવે 476 રૂપિયા આપવામાં આવે છે આ બાબતે અમે અમારા સુપરવાઇઝર નીનામા સાહેબને વાત કરી હતી તેમણે ઉપરી અધિકારીને રજૂઆત કરી હતી. ઉપરી અધિકારીના રજૂઆત કરતા સિક્યુરિટી ગાર્ડનો પક્ષ કેમ લો છો એમ કહી અને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા જેથી તેમને નોકરીમાં પરત લાવવાની પણ માંગ કરી છે. ભરતી સમયે જે ખાતરી અપાઈ તે સુવિધા મળતી ન હોવાની રજૂઆતસિક્યુરિટી ગાર્ડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભરતી સમયે તેમને જે પગાર અને સુવિધાઓ અંગે ખાતરી આપવામાં આવી હતી, તે મુજબ સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમને નક્કી કરેલા પગાર કરતાં ઓછો પગાર આપવામાં આવે છે અને ઘણી વખત પગારમાં કાપ પણ કરવામાં આવે છે. ગાર્ડોએ આક્ષેપ કર્યો કે પૂરતી રજા આપવામાં આવતી નથી અને જો કોઈ ગાર્ડ રજા માંગે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. ઓવરટાઈમનો વધારાનો પગાર ન અપાતો હોવાનો આક્ષેપઆ ઉપરાંત ગાર્ડોએ કહ્યું કે તેમની પાસેથી લાંબા સમય સુધી ડ્યૂટી કરાવવામાં આવે છે અને ઘણી વખત જબરદસ્તી ઓવરટાઈમ પણ કરાવવામાં આવે છે. પરંતુ તે ઓવરટાઈમનો કોઈ વધારાનો પગાર ચૂકવવામાં આવતો નથી. સાથે જ જે સુપર વાઇઝર સિક્યુરિટી ગાર્ડના હક માટે લડતા હતા તેમને પણ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે. આ સમગ્ર માંગ અને તેમના સુપરવાઇઝરને નોકરીમાં પરત લેવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નેતન્યાહુ ક્યાં છે? હત્યાની અટકળો વચ્ચે ઈઝરાયલની સ્પષ્ટતા અને ઈરાનની 'શોધીને મારવાની' ખુલ્લી ધમકી
Iran America War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાની હુમલામાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોત નીપજ્યું છે. આ અફવાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક ભયાનક ધમકી આપી.
ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એક વ્યક્તિએ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કરવા માટે અરજી કરી હતી. સાથે જ માગ કરવામાં આવી હતી કે, તેની દીકરીના જન્મ પ્રમાણપત્રમાંથી તેના જૈવિક પિતાનું નામ કાઢીને દત્તક લેનાર પિતાનું નામ ઉમેરવામાં આવે અને માતાના નામમાં પણ ફેરફાર કરીને નવું જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે. દીકરીના જૈવિક પિતાનું નામ દૂર અરજી આ કેસમાં અરજદારે એક છુટાછેડા લીધેલ મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાને પહેલા પતિથી એક દીકરી હતી, જેનો જન્મ 2015માં થયો હતો. જ્યારે તેના છૂટાછેડા 2022માં થયા હતા. દીકરીની કસ્ટડી તેની માતા પાસે હતી. આથી અરજદારે દીકરીને ખોળે લીધી હતી અને તે માટેની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ જન્મ પ્રમાણપત્રમાં દીકરીના જૈવિક પિતાનું નામ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી, જેથી અરજદારે દીકરીના જૈવિક પિતાનું નામ દૂર કરીને તેનું નામ ઉમેરવા માટે જન્મ મૃત્યુ નોંધણી રજિસ્ટ્રારમાં અરજી કરી હતી. જો કે, જન્મ- મૃત્યુ રજિસ્ટ્રારે અરજદાર પાસેથી કોર્ટનો ઓર્ડર માગ્યો હતો. રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા હુકમગુજરાત હાઇકોર્ટમાં આ કેસ આવતા કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાની સત્તા જન્મ-મૃત્યુ રજિસ્ટ્રાર પાસે છે. કોર્ટે અગાઉ પણ આવા કેસોમાં હુકમ કર્યા છે. તેમ છતાં આવા કેસો ફરી આવી રહ્યા છે, જેથી રાજ્ય સરકાર જન્મ મૃત્યુ નોંધણી વિભાગને આ સંદર્ભે યોગ્ય દિશા નિર્દેશ આપે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કર્યો હતો. અરજદારને એક અઠવાડિયામાં નવી અરજી કરવા અને રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં તેની પર નિર્ણય લેવા માટે હુકમ કર્યો છે.
પાટણ ફાયરિંગ-હત્યા કેસ: 4 આરોપી ઝડપાયા:પૂર્વ આયોજિત કાવતરા હેઠળ યુસુફખાનની હત્યા, હથિયાર-ગાડી કબજે
પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચના રોજ ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા યુસુફખાન પઠાણ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પાટણ જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મુખ્ય શૂટર સહિત 4 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 12 માર્ચ, 2026ના રોજ સવારના સુમારે આ ચકચારી ઘટના બની હતી. મૃતક યુસુફખાન ચાંદખાન પઠાણ પોતાની સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ 08 BF 8784 લઈને બુકડીથી જૂનાગંજ તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રસ્તામાં તેમની ગાડી ઉભી રખાવી હતી. આરોપીઓ પૈકીના એક શખ્સે રિવોલ્વર જેવા હથિયાર વડે યુસુફખાન પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે BNS ની કલમ 103(1), 126(2), 61(2) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચનાથી LCB, SOG, પેરોલ ફર્લો અને ટેકનિકલ સર્વેલન્સની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ સફેદ કલરની જાયલો ગાડી નંબર GJ 24 A 8316 માં વડુ ત્રણ રસ્તા પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરી હતી અને તેમાંથી ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની અટકાયત કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ ગુનાને અંજામ આપવા માટે તેઓએ બે દિવસ સુધી રેકી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે છેલ્લા એક વર્ષથી વૈમનસ્ય ચાલતું હતું. તાજેતરમાં નમાજ પઢવા બાબતે બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને તે આ હત્યાનું તાત્કાલિક કારણ બન્યું હતું. આરોપીઓ પાસેથી 4,00,000ની કિંમતની જાયલો ગાડી અને 20,000 ની કિંમતના 4 મોબાઈલ મળી કુલ 4,20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી ઝહીર ઉર્ફે ખોખરો સામે વિવિધ રાજ્યોમાં મર્ડર અને લૂંટ જેવા 10 ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં હથિયાર છુપાવવામાં મદદ કરનાર મોસીન ઉર્ફે ચટણી અને મહોમદ ખાન બલોચને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવાર પસંદગી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક ખાનગી હોટલ ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ઉમેદવારી ઇચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબ ગુરજી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોની પસંદગી પાર્ટીના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજસેવા અને વિસ્તારમાં કરાયેલા કાર્યો જેવા મુદ્દાઓને આધારે કરવામાં આવી હતી. આ દરમિયાન, પાર્ટીના આગેવાનોએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનતા સાથે સતત સંપર્કમાં રહેવા અને પાર્ટીના વિચારોને ગામેગામ પહોંચાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની તમામ બેઠકો પર મજબૂત રીતે ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે. યોગ્ય અને જનસેવામાં સમર્પિત ઉમેદવારોને તક આપવામાં આવશે. આ સાથે જ, સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવા માટે પણ કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરતા વિદેશથી આવતી ફ્લાઈટમાંથી દોઢ કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોક-સુરત ફ્લાઈટમાં સીટની નીચે ડ્રગ્સ છુપાવ્યું હોવાની બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ સફળતા મળી છે. નવાઈની વાત એ છે કે, આ નશીલો પદાર્થ સીટ નંબર 12E અને 12F ની નીચે સેફ્ટી જેકેટ રાખવાના ખાનામાં બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પેકિંગ એવું કે સ્કેનરમાં પણ ન પકડાય!એર ઇન્ડિયા એક્સપ્રેસ (IX-263) ફલાઇટ બેંગકોકથી સુરત ગત રોજ રાત્રે 7.40 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. જેમાંથી 1656.07 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. સીટ નં. 12E અને 12F નીચેના પાઉચમાં ગાંજો છુપાવ્યો હતો. ગાંજો પકડાઈ જવાથી બચાવવા માટે ખાસ વેક્યૂમ પેક્ડ પોલિથિનનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન કુલ 4 પેકેટ મળી આવ્યા હતા, જેમાં 3 પેકેટ ગ્રે કલરની સેલો ટેપથી વિંટાળેલા હતા. 1 પેકેટ બ્રાઉન કલરની સેલો ટેપથી વિંટાળેલું હતું. ફીલ્ડ ટેસ્ટમાં ડ્રગ્સની પુષ્ટિકસ્ટમ્સ વિભાગે સઘન તપાસ દરમિયાન આ જથ્થો કબજે કર્યો હતો. શંકાસ્પદ પદાર્થની તપાસ 'ફીલ્ડ ટેસ્ટ કીટ' દ્વારા કરવામાં આવતા તે હાઈ-ક્વોલિટી ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું. જે બાદ NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી સમગ્ર જથ્થો જપ્ત કરી લેવાયો છે. આ જથ્થાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. સીટ નંબર પરથી પેડલર સુધી પહોંચવા તપાસ તેજકસ્ટમ્સ વિભાગ હવે એ તપાસ કરી રહ્યું છે કે આ સીટ પર બેંગકોકથી કોણે મુસાફરી કરી હતી. એરલાઇન્સ પાસેથી પેસેન્જર લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સુરતમાં કોને ડિલિવરી કરવાનું હતું અને આ નેટવર્ક પાછળ કોણ છે તે દિશામાં સુરત AIU એ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં આવેલા કનકપુરા યાર્ડ ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની અવરજવરને વધુ સુગમ બનાવવા, લાઈનોની ક્ષમતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ કરાયું છે. આ અંતર્ગત રેલ લાઈનોના નવા જોડાણો અને લંબાઈમાં વધારો કરવામાં આવશે. જોકે, આ ટેકનિકલ કામગીરીને કારણે મે 2026માં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ ટ્રેન નંબર 20951 (ઓખા–જયપુર): 11.05.2026ના રોજ ઓખાથી ઉપડતી આ ટ્રેન જયપુર સુધી જવાને બદલે અજમેર ખાતે જ રોકાઈ જશે. એટલે કે, અજમેર અને જયપુર વચ્ચે આ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 20952 (જયપુર–ઓખા): 12.05.2026ના રોજ આ ટ્રેન જયપુરથી ઉપડવાને બદલે અજમેરથી પ્રસ્થાન કરશે. આમ, જયપુર અને અજમેર વચ્ચેની મુસાફરી રદ કરવામાં આવી છે. પોરબંદરની ટ્રેનોના રૂટમાં ફેરફાર મુસાફરોએ ખાસ નોંધ લેવી કે પોરબંદરથી ઉપડતી ટ્રેનો નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ (ડાયવર્ટ) પરથી દોડશે: પોરબંદર–મુઝફ્ફરપુર (19269): 08.05.2026ના રોજ આ ટ્રેન ફુલેરા-જયપુર-રેવાડીને બદલે ફુલેરા-રિંગસ-રેવાડી થઈને જશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશન પર જશે નહીં. પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા (20937): 09.05.2026ના રોજ ઉપડતી આ ટ્રેન પણ ફુલેરા-રિંગસ-રેવાડી માર્ગે ચાલશે. જેના કારણે જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે નહીં. મુઝફ્ફરપુર–પોરબંદર (19270): 11.05.2026ના રોજ આ ટ્રેન રેવાડી-રિંગસ-ફુલેરા માર્ગે દોડશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર જશે નહીં. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા અધિકૃત પૂછપરછ બારી અથવા વેબસાઈટ પર ટ્રેનનું સ્ટેટસ ચકાસી લે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરમાં રહેલ મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મંદિરના સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું આ ઘટનાની વિગતો એવી છે કે ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનને અર્પણ કરેલા કિંમતી આભૂષણોની ચોરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરારઆ ચોરીની ઘટનામાં મંદિરમાંથી ચોર ઈસમે ચાંદીનું મોટું છત્ર, ચાંદીનું નાનું છત્ર, દાન પેટીમાંથી ચોરાયેલ રોકડ રકમ મળી કુલ 45,200ની મતા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને અજાણ્યા ચોર શખસ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સાંકળચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી C.S. બુટાલા અને બ્રધરહૂડ જાહેર પુસ્તકાલયે તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી કરી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકપ્રેમ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી પુસ્તકાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં મોડાસા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પુસ્તકો આપણા મિત્રો (અક્ષરલેખન) અને મારી કલ્પનાનું પુસ્તકાલય જેવા વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો અને તેમની કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. જાહેર પુસ્તકાલય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને નવી પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જાળવી રાખવા આ પહેલ પ્રેરણાદાયક બની રહી છે. આ કાર્યક્રમના આયોજનમાં બ્રધરહૂડ લાઇબ્રેરીના પ્રમુખ એ.જે. મોદી, ટ્રસ્ટીઓ, કન્વીનર કામેશ શાહ, મિનેશભાઈ ગાંધી, તેમજ કલરવ સ્કૂલના આચાર્ય સેજલબેન ઠેકડી સહિતના આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનથી પ્રેરણા લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, ગુજરાતી ફિલ્મ જગતના અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં બેસતા જ 400 કિમી સ્પીડ બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ તમને થશે. જેના માટે બારીમાં LED સ્ક્રીન લગાવવામાં આવી છે અને તેમાં અમદાવાદથી મુંબઈના રિયલ દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેને શૂટ કરતા 45 દિવસનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પર લક્ઝુરિયસ છે. ધ બુલેટ રેસ્ટોરન્ટના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં કામ અર્થે ચાઈના જવાનો અવસર મળ્યો હતો. તે સમયે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યાર બાદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી અમદાવાદ વચ્ચે વર્ષ 2030માં બુલેટ ટ્રેનનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરી છે. જેથી મને વિચાર આવ્યો કે બુલેટ ટ્રેનમાં લોકો વર્ષ 2030માં મુસાફરી કરશે પણ તે પહેલા તેઓને બુલેટ ટ્રેનમાં બેસવા જેવો અનુભવ મળે એના માટે કંઈક કરીએ. તેઓએ વધુમાં કહ્યું કે, અમે 45 દિવસ મુંબઈથી અમદાવાદના રૂટ પર શૂટ કર્યું હતું અને તે શૂટિંગને LED સ્કિન ઉપર મૂકવામાં આવ્યું છે. જેનાથી રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને ટ્રેનમાં બેઠા હોય તેવું ફિલ થશે. જે માટે 3 મહિના સુધી 100 લોકોની ટીમ કામે લાગી હતી અને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભારતમાં વર્ષ 2030 સુધીમાં જે બુલેટ ટ્રેન આવવાની છે, અમે તે અંગેની જરૂરી માહિતી એકત્રિત કરી હતી. એ જ માહિતીના આધારે અમે આ 'ડમી ટ્રેન' બનાવી છે, જે બહારથી જોતા તમને બિલકુલ અસલી ટ્રેન જેવો જ અનુભવ કરાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો પૂરો પ્રયાસ છે કે લોકોને અહીં અદ્ભુત અનુભવ મળે. ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ઘર જેવું જ ભોજન મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. તેના માટે અમે 'ઓપન કિચન' રાખ્યું છે, જે કાચમાંથી તમે સીધું જોઈ શકો છો અને રસોઈમાં વપરાતી સ્વચ્છતાની ખાતરી કરી શકો છો. આ એક મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે કે અહીં ખાસ્સું લાંબુ મેનુ છે. તેઓએ વધુમાં કહ્યું કે, એક ખાસ વાત એ છે કે અત્યારે બજારમાં LPG ની અછત હોવાને કારણે અમે 'બ્લેક'માં ગેસ લેવાનું ટાળ્યું છે. હાલ પૂરતું અમે 'NON-LPG' મેનુ લોન્ચ કર્યું છે, જેમાં લગભગ 30-32 આઈટમ્સ ઉપલબ્ધ છે. એકવાર કાયદેસર રીતે ગેસની સુવિધા ઉપલબ્ધ થાય પછી અમે સંપૂર્ણ મેનુ શરૂ કરીશું.વડોદરા શહેરની અન્ય મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સની સરખામણીએ અમે ભાવ 20 થી 30 ટકા ઓછા રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ આ અનોખા વાતાવરણમાં ભોજનનો આનંદ માણી શકે.ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે અલગ-અલગ કન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. પછી ભલે તે રેસ્ટોરન્ટ હોય, કાફે હોય કે એવી કોઈ પણ જગ્યા જ્યાં આપણે આપણા પરિવાર સાથે જઈ શકીએ. અગ્રવાલ ફેમિલીએ આ 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટમાં ખૂબ જ સુંદર કન્સેપ્ટ રજૂ કર્યો છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ગુજરાતીઓને ખાવાનો ખૂબ શોખ હોય છે. ભલે ઘરે મહેમાન આવે કે ન આવે, બહાર જમવાના પ્લાન હંમેશા તૈયાર જ હોય છે! ગુજરાતીઓ માટે સૌથી પહેલી પ્રયોરીટી એ હોય છે કે પરિવારને શુદ્ધ અને સરસ જમવાનું મળે. આ રેસ્ટોરન્ટમાં મેનેજમેન્ટનો મુખ્ય હેતુ પણ એ જ છે કે તેઓ જેવું શુદ્ધ ભોજન ઘરે જમે છે, એવું જ લોકોને પીરસે.તેઓએ કહ્યું કે, આ રેસ્ટોરન્ટની સૌથી મોટી ખાસિયત તેનો બુલેટ ટ્રેન કન્સેપ્ટ છે. મેં અત્યાર સુધી ક્યાંય પણ આવો અનોખો પ્રયોગ જોયો નથી. જ્યારે તમે તમારા ફેમિલી સાથે લંચ કે ડિનર લઈ રહ્યા હોવ અને તમને એવું અનુભવાય કે તમે બુલેટ ટ્રેનમાં બેસીને શાંતિથી મુસાફરી કરી રહ્યા છો, તો એ ખરેખર 'પૈસા વસૂલ' કન્સેપ્ટ છે.હું વડોદરાવાસીઓને એટલું જ કહીશ કે હવે જ્યારે પણ તમે પરિવાર સાથે બહાર જમવાનો પ્લાન કરો, ત્યારે સેવન સીઝ મોલમાં આવેલી 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટ ની મુલાકાત જરૂર લેજો.તરોનિશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અહીં આવીને ખૂબ જ નવો અનુભવ થઈ રહ્યો છે. અહીં બેસીને એવું લાગે છે કે જાણે આપણે સાચે જ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ. તમે પાછળ જોશો તો તમને લાગશે કે તમે ખરેખર બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને સાથે જમવાની મજા માણી રહ્યા છો. ખૂબ જ સારો અનુભવ છે, એટલે અહીં ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. લોકોએ અહીં ચોક્કસ આવવું જોઈએ. અહીં તમને બિલકુલ નવો જ અનુભવ મળશે, તો એકવાર અહીં જરૂર મુલાકાત લો. ગ્રાહક મોનલબેને જણાવ્યું હતું કે, આ એકદમ નવો કન્સેપ્ટ છે. મેં આવું પહેલાં ક્યારેય ક્યાંય સાંભળ્યું પણ નહોતું. મને આ કન્સેપ્ટ ખૂબ જ સરસ લાગ્યો. જ્યારે તમે અંદર બેસીને આનો અનુભવ કરો ત્યારે જ ખબર પડે. બિલકુલ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ તેવી જ ફીલિંગ આ રેસ્ટોરન્ટમાં બેસીને આવે છે. અહીંની બધી જ સુવિધાઓ ખૂબ જ સરસ છે.
અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈડ પર સેફ્ટી નેટના લગાવવાના કારણે શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે બનાવના પાંચ મહિનાથી વધુ સમય બાદ બિલ્ડર એન્જિનિયર કોન્ટ્રાક્ટર સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રીજા માળેથી પડવાના કારણે મોતરાજસ્થાનમાં રહેતા ગોવિંદ નીનામા નામના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઈ અનિલ એસ.પી. રીંગ રોડ હેબતપુર ખાતે આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા હતા. 30 સપ્ટેમ્બર ના રોજ અનિલનું કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી પડવાના કારણે મોત થયું હતું. અનિલ ત્રીજા મળે ફ્લેટમાં વોટરપ્રૂફિંગનું કામ કરતો હતો. આ દરમિયાન છજા પરથી અનિલનો પગ લસરી જતા નીચે પડ્યો હતો.જેના કારણે અનિલને માથામાં ગંભીર ઈજા થઈ હતી,જે બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બેદરકારી, 4 સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે બાંધકામ સાઈટ પર અવરોધક સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.બોડકદેવ પોલીસે બિલ્ડર વિષ્ણુ શર્મા, કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ,લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા અને હાર્દિક એમ કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોક્સો-અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયો:એસ.ઓ.જી. સુરેન્દ્રનગરે સગીરા સાથેના ગુનામાં મોરબીથી પકડ્યો
સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં હેબિયસ કોર્પસની ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવી છે. આરોપી અને સગીરાને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, થાનગઢ પોલીસ સ્ટેશનના ગુના નંબર 11211050260051/2026, બી.એન.એસ. કલમ 137(2), 87 મુજબના હેબિયસ કોર્પસ, પોક્સો અને અપહરણના કેસનો આરોપી વિપુલભાઈ બીજલભાઈ સરવૈયા (ઉં.વ. 26, રહે. સરોડી તળાવ પાસે, તા. થાનગઢ) મોરબી ખાતેના ખોખરા હનુમાન, બેલા રંગપરા પાસે હાજર છે. બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી અને ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે તેમને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.
ધ્રાંગધ્રા સ્વદેશી મેળાને સારો પ્રતિસાદ:લોક માંગને પગલે એક દિવસ લંબાવાયો
ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દરરોજ એક હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી, નગરપાલિકા દ્વારા મેળાને એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના વેચાણને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળામાં કુલ 36 જેટલા વિવિધ સ્ટોલ ઉપલબ્ધ છે, જેમાં આયુર્વેદ, હસ્તકલા, ઓર્ગેનિક વસ્તુઓ, ખાદી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્ટોલ ધારકોને નિઃશુલ્ક સ્ટોલ તેમજ લાઇટ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળી શકે. પૂર્વ મંત્રીના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશને મહાસત્તા બનાવવા માટે વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને મજબૂત કરવા સૌએ સાથે મળીને સ્વદેશી અપનાવવું જોઈએ. આ મેળા દ્વારા નાના અને મોટા સ્વદેશી વેપારીઓને પ્રોત્સાહન આપીને દેશને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં મહિલા સંચાલિત સ્ટોલની સંખ્યા નોંધપાત્ર હતી, જે સ્વદેશી ઉત્પાદનો સાથે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોર્સ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે સ્વદેશી અભિયાનમાં મહિલાઓ સક્રિયપણે જોડાઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલ અને પાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. મેળામાં મોટી સંખ્યામાં આગેવાનો, સુધરાઈ સભ્યો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી પરીક્ષા યોજવામાં આવી છે. અલગ અલગ 130 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે તે બાદ ભરતી પ્રક્રિયામાં મળતિયાઓને સેટ કરવા માટે ગોઠવણ ચાલતી હોવાના આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. અનેક વિવાદો વચ્ચે આજે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતના પદો માટેની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થાય અને નિષ્પક્ષ રીતે પરીક્ષાનું પરિણામ જાહેર થાય તેવી આશા સાથે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ભરતી પ્રક્રિયા જાહેર થઈ ત્યારથી અનેક વિવાદો સામે આવ્યા હતાગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી નોન ટીચિંગ સ્ટાફની અલગ અલગ જગ્યાઓ ખાલી પડી હતી. જેના કારણે કામગીરી પર પણ તેની અસર જોવા મળી રહી હતી. તેમજ લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકી હોવાને કારણે અનેક ઉમેદવારો આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. જો કે તે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 130 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા જાહેર થઈ ત્યારથી જ અનેક વિવાદો પણ સામે આવ્યા હતા. મળતિયાઓને સેટ કરવા ગોઠવણ ચાલતી હોવાનો NSUIનો આક્ષેપગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મળતિયાઓને સેટ કરવા ગોઠવણ ચાલતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ રાતોરાત નિયમો બદલીને સબંધીઓને નોકરીમાં લાવવા પ્રયાસ થતા હોવાના પણ આક્ષેપ થયા હતા. સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ સાથે અનેક વખત NSUI દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણીને પ્રવેશ આપવામાં આવ્યોગુજરાત યુનિવર્સિટી દ્વારા NSUIના તમામ આક્ષેપને નકારી દેવામાં આવ્યા હતા. જો કે લેખિત પરીક્ષા યોજાય તે પહેલા આસિસ્ટન્ટ રજીસ્ટર, ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર, પીએ ટુ વીસી અને પીએ ટુ રજીસ્ટરની જગ્યા પરની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ બાકીની જગ્યા માટે યુનિવર્સિટીએ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા યોજવામાં આવી છે. શહેરના અલગ અલગ પરીક્ષા સેન્ટર પર હજારો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. વિવાદોને નજર અંદાજ કરી ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરીક્ષા સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પણ શરૂ ગઈ હતી. ઉમેદવારોને સારી રીતે પરીક્ષા પૂર્ણ થઈ જાય તેવી આશાઉમેદવાર વિક્રમ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી પડી હતી. જેથી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી યોજાઈ હતી જેની આજે પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા માટે ઘણી મહેનત કરી છે અને સારી તૈયારી કરી છે. પેપર કેવું પુછાય છે તેના પર આધાર છે. ભરતીમાં વિવાદ ચાલતો હોવાનો પણ સામે આવ્યું હતું, પરંતુ એ તમામ વિવાદોને નજર અંદાજ કરીને સારી રીતે તૈયારી કરી છે. જો ભરતીમાં મળતિયાઓને સેટ કરવામાં આવે તો ઘણી અસર થઈ શકે છે. કારણ કે ઘણા વર્ષોથી પરીક્ષા માટેની તૈયાર કરતા હોઈએ છીએ. ઘણી એવી પરીક્ષા છે જેમાં આવું બનેલું પણ છે, પરંતુ સારી રીતે પરીક્ષા પૂર્ણ થઈ જાય તેવી આશા રાખીએ છીએ. 'ભરતીમાં પછીથી કોઈ વિવાદ સર્જાશે તો ઘણી અસર થઈ શકે'ઉમેદવાર અમને જણાવ્યું હતું, નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટેની આજે પરીક્ષા લેવાઈ રહી છે. તૈયારીઓ તો ઘણી સારી કરી છે. રીઝનીંગ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. તેમજ કોમ્પ્યુટરના જે સવાલ છે તેના પર પણ વધારે ફોકસ રહેશે. મારા માટે કોમ્પ્યુટરના સવાલ અઘરા રહેવાના છે. જેથી સારા માર્ક્સ સ્કોર કરી શકું તેવી ઉમ્મીદ છે. અત્યારે તો ભરતી પ્રક્રિયા પારદર્શક હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પછીથી કોઈ વિવાદ સર્જાય છે કે ઘણી અસર થઈ શકે છે.
મિડલ ઇસ્ટમાં વધતા યુધ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે,તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત રોજ બરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાચ ધણા ભાવે વેચાઈ રહી છે જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવુ ન હોવાથી હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં વતનની વાટ પકડી રહ્યાં છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુધ્ધની વધી રહેલી તણાવ ભરી સ્થિતિને કારણે જો કોઈ વસ્તુની સર્વાધિક અસર વર્તાઈ હોય તો તે રાંધણ ગેસની છે. હાલ વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે. છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. વિજય માંગુકિયા (અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ) એ જણાવ્યું હતું કે, અત્યારે તકવાદીઓ જે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે રીતે કામદારોમાં એક જ્યારે ભૂતકાળની અંદર કોરોના કાળ આવ્યો હતો અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે અને વીવિંગમાં 50% જેટલા કામદારો અત્યારે હાલમાં જે સ્થિતિ સર્જાય ત્યાર પછી એમના ગામ તરફ જતાં જોવા મળ્યા છે અને ત્યાર પછી જે વીવિંગ ઉદ્યોગની અંદર 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો યાર્નના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે અને વીવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા. જ્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે રજૂઆત કરવામાં આવશે, રૂબરૂ રજૂઆત કરવામાં આવશે, લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે જો 50 થી 60% જ અમારી ફેક્ટરી વીવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે ગેસ છે જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે અને કામદારોનું પણ જીવન ટકી રહે, જીવનયાત્રા ચાલુ રહે અને કંપનીઓ પણ ચાલુ રહે એવું અમે વિચારી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે અને જે ગેસ નથી મળી રહ્યો, જે રીતે તકવાદીઓ કરિયાણા સ્ટોર હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ હોય કે પછી રેસીડેન્સીયલ વિસ્તારોની અંદર જે કામદારો જે વસે છે એ વિસ્તારોની અંદર કઈ પણ ચીજવસ્તુ હોય એમાં ભાવ વધારો આપવો પડતો હોય ત્યારે કામદારોમાં ચોક્કસ એક એવી સ્થિતિ ઉભી થઈ શકે એ વતન તરફ જઈ રહ્યા છે. યાર્નના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ-અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ છે કે જે ઓર્ડરો લીધેલા છે, વીવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું થોડું યાર્ન ખરીદી રહ્યા છે પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે એને ડામવા જોઈએ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવી અમારી માંગ છે.
અમદાવાદમાં સતત વધી રહેલા તાપમાન અને ભીષણ ગરમીના કારણે માનવીઓ જ નહીં, પણ અબોલ પક્ષીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આજે 'આદિ ફાઉન્ડેશન' દ્વારા શહેરના વ્યસ્ત એવા રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં માટીના જલપાત્ર (કુંડા) વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 1000 થી વધુ કુંડાનું વિતરણઆ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા નાગરિકોને 1000 થી વધુ માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર રહેલા શહેરીજનોએ આ પહેલને વધાવી લીધી હતી અને પોતપોતાના ઘરની છત, બાલ્કની કે આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે નિયમિત પાણી રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, ઉનાળાની પ્રચંડ ગરમીમાં પાણીના અભાવે અનેક પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ નાનકડો પ્રયાસ પણ અબોલ જીવોના જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જીવદયા પ્રેમીઓ અને સભ્યોની ઉપસ્થિતિઆ સેવાકાર્યમાં આદિ ફાઉન્ડેશનની ટીમ સાથે અનેક જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે હાર્દિક સંઘવી, અલ્પેશ શાહ, ચિરાગ ભાઈ અને રવિ ચૌહાણ સહિત સંસ્થાના અન્ય અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી. સંસ્થાએ અંતમાં શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પણ પોતાની આસપાસ પાણીના પાત્ર મૂકીને જીવદયાના આ કાર્યમાં સહભાગી બને અને સમાજમાં માનવતાનો સંદેશ ફેલાવે.
મહેસાણાના રામોસણા ચોકડી પાસે ગત સાંજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 108 ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અકસ્માતગ્રસ્ત રિક્ષા ચાલકને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવાની સાથે તેની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે હોસ્પિટલ સત્તાધીશોને સોંપી ફરજનિષ્ઠા અદા કરી હતી. જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત મહેસાણાના રામોસણા ચોકડી પાસે પાર્ક કરેલા એક જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા ચાલક વિશાલકુમાર દશરથભાઈ રાવલને દાઢી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તને કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે તેને પરત અપાઈજિલ્લા અધિકારી હરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ઈજાગ્રસ્તના કોઈ સબંધી હાજર ન હોવાથી 108ની ટીમે નૈતિક જવાબદારી નિભાવી હતી. દર્દીની રિક્ષાની ચાવી, મોબાઈલ ફોન અને આધાર કાર્ડ જેવી તમામ કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે મેળવી લીધી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પાર્થ ને આ તમામ વસ્તુઓ વિધિવત રીતે સુપ્રત કરવામાં આવી હતી. 108ની ટીમની આ કામગીરી અને પ્રમાણિકતાને સ્થાનિકો તેમજ વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી મકાનમાં ચાલી રહેલું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ચાર આરોપીઓ કેનેડાના બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોને તેમનું બેન્ક એકાઉન્ટ કોઈકે લોગિન કરેલું હોવાનું ખોટું કારણ બતાવી સોફ્ટવેર મારફતે ખોટી ડિજિટલ આઇડી બનાવી કોલ કરી પ્રોસેસ કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હતાં. સાઇબર ક્રાઇમે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતાઅમદાવાદ સાઇબર ક્રાઇમે બાતમીના આધારે ચાંદખેડામાં આવેલા ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં આવેલા મકાનમાંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1.87 લાખનો મુદ્દામાલ જપ્તપકડાયેલા આરોપીઓ પાસેથી 6 લેપટોપ, 5 મોબાઇલ ફોન, 4 હેડફોન, 1 કીબોર્ડ સહિત કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓના લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું જેનો વોઇસ કોલ કરવા માટે ઉપયોગ થતો હતો. લેપટોપ માંથી સ્ક્રિપ્ટ પણ મળી આવી હતી. એજન્સી ને બેંકના નકલી ઓફિસર બનીને છેતરતાંસ્ક્રિપ્ટમાં આરોપીઓ પોતાને કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી અને બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોનો ફોન કરી તેમનો વિશ્વાસ સંપાદન કરતા હતા. જે બાદ નાગરિકોના નામ, સરનામા, પોસ્ટલ કોડ સહિતની વિગત મેળવી લેતા હતાં. કેનેડિયનને ડરાવી ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતાંઆરોપીઓ નાગરિકોને જણાવતા હતા કે તેમના વિવિધ બેંકમાં અનેક TFSA એકાઉન્ટ ખુલ્લા છે અને કોઈ અજાણી વ્યક્તિ તેમના વ્યક્તિગત માહિતીનો દૂર ઉપયોગ કરી રહી છે. જે બાદ કેનેડિયન નાગરિકોને ડરાવી ઓનલાઈન પ્રોસેસના બહાને ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. ચાર આરોપીની ધરપકડ, એક ફરારઆ પૈસા શિવાંગ નામના યુવકના ખાતામાં જતા હતાં. સાયબર ક્રાઈમે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમની પાસેથી લેપટોપ,મોબાઈલ પણ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં પાંચમો આરોપી શિવાંગ હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી પૌરાણિક દરબારી વાવના રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ ગયું છે. ટાવર ચોકના બગીચામાં આવેલી આ વાવના જીર્ણોદ્ધાર માટે રૂ. 33 લાખનો ખર્ચ કરવામાં આવશે અને આગામી ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા છે. આ વાવને 'દરબારી વાવ' અથવા 'બોરસલ્લીની વાવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇડર સ્ટેટ વખતની આ વાવનું બાંધકામ ગુજરાતના સુબા અહેમદશાહના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, પંચાયત દ્વારા આ વાવમાં બોર કરીને તેના પાણીનો ઉપયોગ બગીચાના વૃક્ષોની જાળવણી માટે થતો હતો. જોકે, બોરમાં પાણી ન રહેતા તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો, જેના કારણે વાવ જર્જરિત થઈ ગઈ હતી. હિંમતનગર નગરપાલિકા દ્વારા આ રિસ્ટોરેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલમાં, સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાવની ક્ષતિગ્રસ્ત પથ્થરની દીવાલોમાંથી પથ્થરો કાઢીને કામગીરી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જીનલ પટેલે જણાવ્યું હતું કે, વાવના પુનરુદ્ધારનો મુખ્ય હેતુ હિંમતનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો તેમજ પાણીનો સંગ્રહ કરીને વાવને ફરી જીવંત કરવાનો છે. કામગીરી પૂર્ણ થયા બાદ વાવની બહાર મુલાકાતીઓ માટે નાના બગીચા સાથે બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
ભરૂચમાં વ્યાજખોરે વેપારી પાસેથી ₹18 લાખ વસૂલ્યા:મારપીટ અને ધમકી આપતા વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં
ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી ₹3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5 ટકા વ્યાજ સાથે પરત કરવાની શરત હતી. સુરક્ષા પેટે ફરિયાદીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરી હતી. દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે ₹18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપી એકથી વધુ વખત વેપારીની દુકાને આવી ગાળાગાળી અને ધમકીઓ આપતો હતો, તેમજ મારપીટ પણ કરતો હતો. એક કિસ્સામાં, ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો વ્યાજખોરી અને ધમકીના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
પંચમહાલ જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેથી ₹732.28 કરોડના કુલ 112 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં ખાસ કરીને પાણી પુરવઠા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિભાગવાર ફાળવણીની વિગતોમુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા 112 કામોમાં સૌથી વધુ 50 કામો પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના છે. પાનમ પ્રોજેક્ટ અને સ્થાનિક અસરોઆ કાર્યક્રમ દરમિયાન પાનમ પ્રોજેક્ટ અંતર્ગત ₹337.67 કરોડના કામો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત મહાનુભાવોઆ વિકાસ પર્વમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, સાંસદ રાજપાલસિંહ જાદવ, જશુભાઈ રાઠવા અને ડૉ. જસવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો જેઠા ભરવાડ, સી.કે. રાઉલજી, નિમિષા સુથાર, જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા સહિતના આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સુરતમાં કોમર્શિયલની અછતના કારણે ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ શહેરના ખાણી-પીણી ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી છે અને તેની માઠી અસરની શરૂઆત અત્યારથી જ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવો આસમાને પહોંચતા સુરતના રેસ્ટોરન્ટ સંચાલકો હવે આર્થિક બોજ હળવો કરવા માટે મજબૂરીવશ આધુનિક ગેસ સ્ટવ છોડીને ફરીથી લાકડાના બળતણ તરફ વળી રહ્યા છે. જે રેસ્ટોરન્ટ્સમાં અત્યાર સુધી ગેસ પર રસોઈ બનતી હતી, ત્યાં હવે મોટા ચૂલાઓ પર લાકડા સળગાવીને રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. લાકડું 15 રૂપિયાથી સીધું 25 રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાવાનું શરૂ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી ઓછી થઈ રહી નથી કારણ કે ગેસની સાથે સાથે લાકડાના ભાવમાં પણ મોટો ભડકો થયો છે. જે લાકડું અગાઉ બજારમાં રૂ. 15 પ્રતિ કિલોના ભાવે મળતું હતું, તેની માગ વધતા હવે તે સીધું રુ.25 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. બળતણના આ અસહ્ય ભાવ વધારાને કારણે રેસ્ટોરન્ટ માલિકો પાસે હવે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેને પગલે રસોઈમાં પ્રતિ ડીશ સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બહારથી આવીને વસેલા મધ્યમ વર્ગ માટે ભાવ વધારો મોટો ફટકોસુરત જેવા શહેરમાં જ્યાં હજારોની સંખ્યામાં શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકો રોજીરોટી માટે બહારથી આવીને વસેલા છે, તેમના માટે આ ભાવ વધારો મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે. શહેરના પંજાબી રસોઈ રેસ્ટોરન્ટમાં દરરોજ સરેરાશ 150થી 200 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવતી વખતે બળતણનો ખર્ચ સીધો નફા પર અસર કરે છે. પંજાબી થાળીના ભાવ પણ 50થી વધારીને 60 પ્રતિ ડીશ કરાયાભાવ વધારાની વિગતો જોઈએ તો, જે છોલે ભટુરે અત્યાર સુધી રુ. 70 પ્રતિ ડિશ મળતા હતા તેના ભાવ હવે 80 કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે સામાન્ય માણસની પહેલી પસંદ ગણાતા રાજમા ચાવલ, કડી ચાવલ અને છોલે ચાવલ જે અગાઉ 50 પ્રતિ ડીશ મળતા હતા, તે હવે 60માં વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, શ્રમિક વર્ગમાં લોકપ્રિય એવી પંજાબી થાળીના ભાવ પણ 50થી વધારીને 60 પ્રતિ ડીશ કરી દેવામાં આવ્યા છે. આમ, કોમર્શિયલ ગેસના ભાવ વધારાની ચેઈન રિએક્શનને કારણે સુરતવાસીઓની થાળી હવે મોંઘી થઈ ગઈ છે અને મોંઘવારીનો આ માર છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. કોમર્શિયલ ગેસની અછતથી નાના ધંધાર્થીઓ પરેશાનપંજાબી રસોઈના માલિક તરુણભાઈએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ ગેસની જુઓ તો બહુ પરેશાની છે, બહુ તકલીફ છે અત્યારે. ક્યાંય પણ નથી મળી રહ્યો, બહુ ખરાબ હાલત છે. લાકડા પર જમવાનું બનાવવું પડી રહ્યું છે. જે થાળીનો ભાવ 50 રૂપિયા હતો તે હવે 60 રૂપિયા કર્યો છે. અને હાલત એવી છે કે જે લાકડા 15 રૂપિયે કિલો મળતા હતા, તે પણ હવે 25 રૂપિયે કિલો થઈ ગયા છે. તોતિંગ ભાવ વધારા અને અછતના પગલે ઘરે પરત ફરવા મજબૂરહવે અમે એ વિચારી રહ્યા છીએ કે, જમવાનું ખવડાવીએ કે ભાવ વધારીએ? શું કરીએ એ જ નથી સમજાતું. અમારી રેસ્ટોરન્ટમાં મજૂર લોકો જ આવે છે. અમે મજૂર લોકોને જ જમવાનું ખવડાવીએ છીએ. તમારી ચેનલના માધ્યમથી જ જોઈએ છીએ કે ઉધના સ્ટેશન પર કેટલી ભીડ છે, લોકો ઘરે જઈ રહ્યા છે. જ્યારે મજૂરો જ નહીં હોય તો અમે કોને જમાડીશું? અમારે તો મજૂરોનું જ કામ છે. 50-60ની થાળી તો મજૂર જ ખાશે, અમીર માણસ તો ખાશે નહીં. અત્યારે તો એવી હાલત છે કે હવે ફરી પાછા ઘરે જવાની તૈયારી પર છીએ. છોકરાઓને ઘરે મોકલી રહ્યા છીએ. લાકડા પર જેટલા દિવસ ચાલશે એટલા દિવસ ચલાવીશું, નહીં ચાલે તો 'જય રામજી કી'. કંઈક ને કંઈક તો કરીશું જ. વહેલી તકે ગેસ પૂરો પાડવામાં આવે તેવી માગસ્ટાફ ઘટાડવાને લઈને તેમને કહ્યું હતું કે, સ્ટાફનું તો શું કરીએ, સ્ટાફને તો મોકલવા જ પડશે ને? હવે માણસો ઘટાડવા જ પડશે, ક્યાંથી આવશે પૈસા એમને આપવા માટે? બસ અમારી સરકાર પાસે એક જ માગ છે કે વહેલી તકે ગેસ પૂરો પાડવામાં આવે અને વ્યવસ્થિત ચાલુ કરવામાં આવે.
મહીસાગર SOGએ મોબાઈલ ચોર પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો
મહીસાગર SOG પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 26,000ની કિંમતના ચોરાયેલા OPPO મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી. આ બાતમી મુજબ, સંતરામપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો OPPO કંપનીનો મોબાઈલ ફોન ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના બચકરીયા ગામે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતા જ, SOG પીએસઆઈ એ.એમ. બારીયા અને SOG સ્ટાફને ડીટવાસ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તપાસ કરતા, છાયામહુડા ફળિયું, બચકરીયા ઉત્તર, તા. કડાણા, જી. મહીસાગરના રહેવાસી બાબુ કાળુભાઈ ડામોરને ચોરી થયેલા રૂ. 26,000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અને ચોરીનો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં બે થી ત્રણ સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. સ્થાનિક મહિલા દ્વારા અરજી પણ કરવામાં આવી છે કે ચાલીમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને જે બાબતે કહેતા મહિલાઓ દ્વારા ચાલી કરી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયોમાં બે યુવતીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી રહી છે. તેમજ એક યુવતી દ્વારા હાથમાં છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. આ મામલે અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડીના સંજય ચોક વિસ્તાર પાસે આવેલી ચાલીનો આ વિડિયો છે. જેમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં થયેલી બોલાચાલીમાં હથિયાર જેવું બતાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સંજય ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા ચારથી પાંચ યુવતીઓ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવેલી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમે પરિવાર સાથે રહીએ છીએ અને અમારી ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. જેના વિરુદ્ધમાં અમે બોલતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા બાબતે બોલાચાલી થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસે પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રો મટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15 નો વધારો થયો છે. 500 ML ની 24 બોટલના એક કેરેટના રૂ.75 થી વધારી રૂ.90 તો 1 લીટરની 12 બોટલના એક કેરેટના રૂ.60 થી વધારી રૂ.75 થયો છે. જેને લીધે પીવાના પાણીની સિંગલ બોટલના ભાવમાં વધારાની શક્યતા સેવાઇ રહી છે. રાજકોટના બિસ્વિન બેવરેજિસના સંચાલક શૈલેષભાઈ ભુતે જણાવ્યુ હતુ કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેકેજ ડ્રીન્કિંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાણીની બોટલના કેરેટ પર રૂપિયા 15 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાના કારણે 500 ML અને 1 લીટર પાણીની બોટલના કેરેટની ડિમાન્ડ વધુ રહે છે. પહેલા 1 લીટર કેરેટનો ભાવ રૂ.60 હતો જેના રૂ.85 કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેમાં રૂ.75 કર્યા છે. એક કેરેટમાં 12 બોટલ આવે છે. જ્યારે 500 ML પાણીની બોટલના એક કેરેટના પહેલા રૂ.75 હતા જે રૂ.100 કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેના રૂ.90 કરવા પડ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ પેકેજ ડ્રિંકિંગ વોટરની સપ્લાય ખૂબ જ ઓછી આવે છે. પૈસા આપતા પણ માલ મળતો નથી અને સામે ગ્રાહકોને પૂરો માલ આપી શકતા નથી. રાજકોટ શહેરમાં આ પ્રકારના 20 જેટલા યુનિટ છે જ્યારે જિલ્લામાં યુનિટની સંખ્યા વધારે છે ઓકે પછી જગ્યાએ એક સરખી ખરાબ પરિસ્થિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું રો મટીરીયલ બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. પેટ્રોકેમિકલની શોર્ટ સપ્લાયને લીધે વોટર પેકેજીંગ બિઝનેસને ગંભીર અસર પહોંચે છે. રો મટીરીયલ નો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે પાણીની સિંગલ બટન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પાણીની મોટી બોટલના રૂ.20 અને પાણીની નાની બોટલના રૂ.10 યથાવત છે. જેમાં પણ ભવિષ્યમાં ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અમારા ગ્રાહકો પાન સહિતના નાના દુકાનદારો હોય છે અને તેઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી.
સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજરોજ સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો. જોકે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતાં. જોકે કાર્યક્રમ થશે તો કઈ પણ થશે તો જવાબદારી આયોજકોની રહેશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ'એ ગોડસેના વંશજને આમંત્રિત આપ્યુ'તુંસુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્થિત મહેશ્વરી ભવન ખાતે ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ' દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ભારત સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન' વિષયક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે. આ આમંત્રણ સાથે લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ગોડસેની તસ્વીર હોવાને કારણે શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. 'ર્હોડિંગ્સ લગાવીને નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ'કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા ર્હોડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પોસ્ટરો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો હતો. કોંગ્રેસની ચીમકી, આયોજક દ્વારા કાર્યક્રમ રદ કરાયોવિરોધના પગલે પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ થાય અને કઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે આયોજક નરેન્દ્ર શાહુ દ્વારા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. વિવાદ વધી જતા ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયોકાર્યક્રમને લઈને આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પૂર્વ સૈનિકો સહિતના લોકો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને કાર્યક્રમ રદ થયો હોવાની જાણ થઈ હતી જેથી તેમનામાં પણ રોષ જોવા મળ્યો હતો. 'ગાંધીના હત્યારાને ગુણગાન કરવા માટેનો કાર્યક્રમ હતો'કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો. અને આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ. 'અમે પાણી નાખી દીધું, એમની હિંમતને અમે તોડી નાખી'ઉધનાવાલાએ કહ્યું હતું કે, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવા ન દીધી, એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે. કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા, જેમને વિશ્વની અંદર એમની કેટલીય દેશોમાં એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલીય બુકો લખવામાં આવી છે. એવા મહાન આપણા રાષ્ટ્રપિતાની વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય, તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચાલવા દે, ભારતના લોકો નહીં ચાલવા દે. એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે આ કાર્યક્રમ રદ થયો છે.
ગોધરામાં સામાજિક કાર્યકર તોફિક મલેક અને તેમની ટીમ દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન નિઃશુલ્ક 'શહેરી' (વહેલી સવારનું ભોજન) ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ સેવા છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ અને અન્ય જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સેવા માટે ગોધરાના સરદાર નગર ખંડ નજીક દરરોજ વહેલી સવારે દસથી વધુ યુવાનોની ટીમ એકત્ર થાય છે. આ ટીમ દ્વારા ગરમાગરમ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા ટિફિન શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના પરિજનો, મુસાફરો અને આર્થિક રીતે નબળા પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવા દર રમઝાન માસમાં છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે અને તેનો સંપૂર્ણ આર્થિક ભાર તોફિક મલેક પોતે ઉઠાવે છે. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો આરામ કરતા હોય છે, ત્યારે આ યુવાનોની ટીમ સક્રિય હોય છે. તૈયાર થયેલા ટિફિનને સુવ્યવસ્થિત રીતે પેક કરીને વિવિધ વિસ્તારો અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ વહેલી સવારના ભોજનથી વંચિત ન રહે. કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના કરવામાં આવતી આ સેવા ગોધરા શહેરમાં પ્રશંસા મેળવી રહી છે. તોફિક મલેક અને તેમની ટીમની આ કામગીરી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે, અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી. યુવરાજ સિંહે પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયોઆમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આજે જે ટેન્કર પકડાયું છે તે વિસાવદરના દેડિયા ગામથી દરરોજ સવારે પાંચ વાગ્યે નીકળે છે જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માગ કરાઈ છે. ભેળસેળની સચોટ માહિતી માટે દૂધને FSLમાં મોકલાયુંયુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ સાથે જ દૂધના નમૂનામાં કયા પ્રકારની ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. '350થી 400 લિટર શંકાસ્પદ જથ્થો ડેરીઓમાં ઠલવાય છે'આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે આક્ષેપ કરતા જણાવાયું છે કે, વિસાવદરના દેડિયા ગામની સહકારી ડેરીમાં વાસ્તવમાં ખૂબ ઓછું દૂધ જમા થાય છે, પરંતુ આસપાસના મજૂરો પાસેથી માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવે છે. આ રીતે અંદાજે 350થી 400 લિટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કેન્સર અને કિડનીના કેસોમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાચે ક્યાંકને ક્યાંક આવા સફેદ દૂધના કાળા કારોબારીઓ જવાબદાર છે જે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યોઆ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને FSLના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જો આ નમૂનામાં કેમિકલની હાજરી સાબિત થશે તો દૂધના માલિક દેવાભાઈ ભરવાડ તેમજ જે ડેરીમાં આ દૂધ જતું હતું તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. લોકોમાં પણ એવી માગ ઉઠી રહી છે કે, માત્ર એક ટેન્કર પકડીને સંતોષ માનવાને બદલે આખા નેટવર્કનું મૂળ શોધવામાં આવે જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ અક્ષમ્ય અપરાધને રોકી શકાય.
હાલમાં જ્યારે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ લેબોરેટરી તૈયાર થતા રાજકોટનાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમુના વડોદરા મોકલવા નહીં પડે અને અત્યારે બે-ત્રણ મહિને આવતા રિપોર્ટ બે-ત્રણ દિવસમાં મળી જશે. આ સાથે અહીં તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરવામાં આવશે. જેને લઈને ઇમરજન્સીમાં લોકોને સારવાર પણ મળી રહેશે. વર્તમાન વ્યવસ્થા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) ચકાસણી માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવા પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થાય છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થવાથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરંતુ નવું બિલ્ડિંગ કાર્યરત થયા બાદ રાજકોટમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ થશે. જેના પરિણામે દૂધ, ઘી, તેલ કે અન્ય ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને પકડવા માટેના રિપોર્ટ ગણતરીના દિવસોમાં જ મળી શકશે. આનાથી ભેળસેળિયા તત્વોની સામે ઝડપથી કાર્યવાહી કરી શકાશે. અને નાગરિકોને શુદ્ધ આહાર મળવાની ખાતરી થશે. આ બિલ્ડિંગના આયોજન અને સ્થાપત્યની વાત કરીએ તો, તેને કુલ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા બંનેનો સમન્વય જોવા મળશે. ગ્રાઉન્ડ ફ્લોર: સર્વગ્રાહી આરોગ્ય સેવાઓબિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને કટોકટીની તબીબી સેવાઓ કેન્દ્રિત કરવામાં આવી છે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ કરીને માતૃ-બાળ કલ્યાણ માટે B.F. કોર્નર, ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) રૂમ અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમની ફાળવણી કરવામાં આવી છે. પુરુષ અને મહિલાઓ માટે અલગ વોર્ડ તેમજ શૌચાલયની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પેથોલોજી લેબ અને સેમ્પલ લેબ જેવી સુવિધાઓથી નિદાન પ્રક્રિયા વધુ સરળ બનશે. પ્રથમ માળ: આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીબિલ્ડિંગનો પ્રથમ માળ સંપૂર્ણપણે ખાદ્ય સુરક્ષા વિભાગને સમર્પિત રહેશે. અહીં 3 અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે. આ લેબમાં હાઈ-ટેક સાધનો માટે ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, ડિસ્ટિલેશન રૂમ, ફ્યુમિંગ રૂમ, બેલેન્સ રૂમ અને કેમિકલ સ્ટોરની સુવિધા હશે. ફૂડ એનાલિસ્ટ માટે અલગ ચેમ્બર અને ડેટા મેનેજમેન્ટ માટે એડમિન વિસ્તારની જોગવાઈ છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ એક્ઝિબિશન રૂમ અને ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે, જ્યાં હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો અને નાગરિકોને ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે માહિતગાર કરી શકાશે. બીજો માળ: વોટર ટેસ્ટિંગ અને વહીવટી સુવિધાઓબિલ્ડિંગના બીજા માળે પાણીની શુદ્ધતા ચકાસવા માટે 2 ખાસ વોટર ટેસ્ટિંગ રૂમ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં વિતરણ થતા પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે આ લેબ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. અશુદ્ધ પાણીથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આધુનિક પદ્ધતિથી અહીં પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ ત્રણેય સુવિધાઓના નિર્માણ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 4,59,67,751 (GST સિવાય) નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, ચોમાસાના ત્રણ મહિના (1 જુલાઈથી 30 સપ્ટેમ્બર) ને કાર્યકાળમાંથી બાકાત રાખવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વર્કઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવે તો અંદાજે દોઢ-બે વર્ષની અંદર રાજકોટનાં લોકોને આ સુવિધાનો લાભ મળતો થવાની શક્યતા છે. કોન્ટ્રાક્ટરો માટે પાત્રતાના ધોરણો આ કામ માટે માત્ર 'A' ક્લાસમાં નોંધાયેલા અનુભવી કોન્ટ્રાક્ટરો જ અરજી કરી શકશે. કોન્ટ્રાક્ટરોએ છેલ્લા સાત વર્ષમાં આ પ્રકારના કામનો ઓછામાં ઓછો 40 ટકા જેટલો અનુભવ ધરાવવો આવશ્યક છે. આ ઉપરાંત, ટેન્ડર સાથે રૂ. 4,59,678 ની અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) અને રૂ. 7,500 ની ટેન્ડર ફી જમા કરાવવાની રહેશે. કોન્ટ્રાક્ટરે કામના સ્થળે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવી પણ ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં ફૂડ લેબોરેટરીની સાથે આરોગ્ય સુવિધા ભવનનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને ઇમરજન્સી તબીબી સેવાઓ મળી રહેશે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. અને 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. એટલું જ નહીં વિવિધ પ્રકારના રસીકરણ પણ અહીં કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર શનિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રતિબંધિત હોવા છતાં પસાર થઈ રહેલા રેતી ભરેલા 3 ડમ્પર અને 1 ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ચાલકને ફાયર વિભાગે જીવિત બહાર કાઢ્યો હતો. સાદોલીયા ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર રોકવા માટે તંત્ર દ્વારા લોખંડના ગડર (બેરિયર) લગાવવામાં આવ્યા છે. શનિવારે રાત્રે રેતી ભરીને જતું એક ડમ્પર આ લોખંડના ગડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ આવી રહેલા અન્ય 2 ડમ્પર અને 1 ટ્રક પણ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. મૃતકોની ઓળખઅકસ્માતમાં ડમ્પરના કેબિનનો કુરચો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અજીત શના ઠાકોર (25 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ વિશાલ લક્ષ્મણ ઠાકોર (24 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશનઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ મુકેશ પરમારના નેતૃત્વમાં સ્થળ પર પહોંચી હતી. અંદાજે 45 મિનિટની જહેમત બાદ ડમ્પરની કેબિન કાપીને બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન પાછળ અથડાયેલી ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલક જીવરામ ગોવિંદને ફાયર ટીમે માત્ર 10 મિનિટમાં સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ કાર્યવાહીપ્રાંતિજ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે જળાભિષેક અને પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું મુખ્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં મુકુલ વાસનિકે જણાવ્યું કે તેઓ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. વાસનિકે ઉમેર્યું કે રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, પવિત્ર સોમનાથથી પ્રચારની શરૂઆત કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું આવનારી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધારવાનું સૂચવે છે.
બોટાદની તરઘરા શાળામાં યોગ શિબિર યોજાઈ:બાળકોને પરીક્ષાનો ભય દૂર કરવા અપાયું માર્ગદર્શન
બોટાદ તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં શાળાના આશરે 380 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવતે બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પરીક્ષાનો ભય દૂર કરવા માટે વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને અભ્યાસ કરાવ્યો હતો. શાળા પરિવારે શ્રી યોગ ફાઉન્ડેશનના પ્રમુખ નયનભાઈ શેઠ અને તેમની ટીમનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિ:શુલ્ક યોગ શિબિરથી બાળકોમાં પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો હતો અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી. શાળાના આચાર્ય મનુમાસ્તર અને શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ 'બાબ અલ મંદેબ' પણ બંધ થશે! યમનના હુથીઓની ધમકીથી દુનિયા ટેન્શનમાં
Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ડૂબાડવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ હવે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'બાબ અલ-મંડેબ' (Bab al-Mandab) ને બ્લોક કરવાની ધમકી આપી છે. શું છે ઈરાનની 'ત્રણ તબક્કાની રણનીતિ'? પ્રથમ તબક્કો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરવો (જે પહેલાથી જ પ્રભાવિત છે).
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરમિયાન અકસ્માત વળતરનો કેસ ઉકેલાયો હતો. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા 1 કરોડના દાવા સામે કોર્ટે 63 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી પડતર આ કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાતા, પરિવારે આર્થિક ન્યાય મેળવ્યો છે. આણંદ-ભાલેજથી પરત ફરી વખતે અકસ્માત થયો'તોમળતી વિગત અનુસાર, 37 વર્ષીય શાહ-નવાઝ ઉર્ફે આસિફ મોહમદ રફીકમીયા શેખને એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના અવસાનને કારણે થયેલા અપૂરણીય નુકસાન અને દુઃખ માટે યોગ્ય વળતર મેળવવા માટે તેમની કાનૂની વારસદારો પત્ની, ચાર સંતાનો અને માતા દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત 19 જુલાઈ, 2024ના રોજ રાત્રે થયો હતો. શાહ-નવાઝ તેમના મિત્ર તૌફીક વ્હોરા સાથે આણંદ-ભાલેજથી કામ પરથી પરત ફરી રહ્યા હતાં. શાહ-નવાઝ પોતાનું ટુ વ્હિલર સુઝુકી બર્ગમેન ચલાવી રહ્યા હતાં. તેઓ નડિયાદ નજીક દુમરાલ ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે પક્ષ દ્વારા ચલાવવામાં આવતી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થયુંતેમને તરત જ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈનડોર પેશન્ટ તરીકે ઈજાઓને કારણે મોત થયું હતું. આ અકસ્માત અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યોમૃતકના કાનૂની વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ 1 કરોડ રૂપિયાના વળતર માટે જિલ્લા અને સત્ર ન્યાયાલય, અમદાવાદ ગ્રામ્ય ખાતે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા, તમામ પક્ષકારો, વીમા કંપનીના પ્રતિનિધિઓનો સક્રિય સહકાર મળતા 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત દરમિયાન આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન દ્વારા નિવારવામાં આવ્યો હતો. કોર્ટે દાવો ફેંસલ કરીને 63 લાખ ચૂકવવા આદેશ કર્યોપારસ્પરિક ચર્ચા અને વિચારવિમર્શ બાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મૃતકના કાનૂની વારસદારોને 63 લાખની રકમ ચૂકવવા સંમતિ અપાતા, અધિક જિલ્લા ન્યાયાધીશ એન.પી. ઉનડકટની કોર્ટમાં આ દાવો ફેંસલ કરવામાં આવ્યો. આ રકમ નક્કી કરતી વખતે મૃતકની ઉંમર, 40 હજાર રૂપિયાની માસિક આવક, પરિવારની નિર્ભરતા અને તેમના ભવિષ્યના સંભવિત આવક જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ ₹2,10,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસને રોકવામાં આવી હતી. બસમાં બેઠેલા એક યુવક પર શંકા જતાં તેની બેગની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન યુવકની બેગમાંથી 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીનું નામ જય ચેતન ગાલા (ઉંમર 29) છે, જે મુંબઈના ગોરેગામનો રહેવાસી અને મૂળ કચ્છના મુન્દ્રાનો છે. અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(બી)(ii)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની વાદળી રંગની ટ્રાવેલિંગ બેગમાંથી કપડાં અને જેકેટની આડશમાં છુપાવેલું 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આ ચરસની બજાર કિંમત ₹2,00,250 આંકવામાં આવી છે. ચરસ ઉપરાંત, એક એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરાયો છે, જે સાથે કુલ ₹2,10,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી હતી. મધ્ય પૂર્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે LPG સિલિન્ડરના વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ નિર્દેશ હેઠળ પુરવઠા વિભાગે આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જો કોઈ હોટલમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તો તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-2000' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ સુંદરગઢ અને નવા ગામ પાસે તસ્કરોએ બે ગલ્લા અને બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સરસામાન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારના સમયે સુંદરગઢ પાટિયા પાસે ગાયત્રી આશ્રમ નજીક બાબુભાઈ વાલાભાઈ મકવાણાના પાન મસાલાના ગલ્લાને તોડી તસ્કરો પાન મસાલાનો સામાન અને રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ પૂર્વ સરપંચ ચંદનસિંહના લક્ષ્મી પાન પાર્લરના ગલ્લામાંથી પણ સરસામાન અને રોકડની ચોરી થઈ હતી. ત્યારબાદ, લક્ષ્મી પાન પાર્લરની સામે આવેલ એક કોમ્પ્લેક્સમાં જયદેવ કિરાણા સ્ટોર્સ અને તેની બાજુમાં આવેલ બિલેશ્વર એગ્રો ટ્રેડર્સ (ખેતીની દવાની દુકાન)ના શટર તોડીને પણ ચોરી કરવામાં આવી હતી. જયદેવ કિરાણા સ્ટોર્સના માલિક સુનીલભાઈ મોતીલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તસ્કરો શટર તોડીને અંદરથી કરિયાણાનો સામાન જેમ કે તેલ, ખાંડ, ઘી, ડ્રાયફ્રુટના પેકેટ સહિતનો સામાન અને આશરે ₹20 રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ રાઘવ દાલબાટીના સીસીટીવી કેમેરામાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક એસેન્ટ કાર અને એક બાઈક પસાર થતું જોવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શનિવારે 37C સુધી પહોંચેલો પારો રવિવારે 4 ડિગ્રી ઘટીને 34C પર સ્થિર થયો હતો. જોકે, તાપમાન ઘટવા છતાં હવામાં ઊંચા ભેજને કારણે નાગરિકો બફારો અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ નોંધાયું હતું, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનને કારણે તાપમાન નીચું રહ્યું હતું. ધરમપુરમાં મહત્તમ 35C અને લઘુત્તમ 22C તાપમાન નોંધાયું હતું. વાપીમાં 34C મહત્તમ અને 25C લઘુત્તમ તાપમાન સાથે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. વલસાડમાં 33C, કપરાડામાં 34C અને ઉમરગામમાં 32C મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક અને સાવચેતીહવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં બપોરના સમયે આકાશ સ્વચ્છ રહેશે. જોકે, UV ઇન્ડેક્સ 9 (ખૂબ ઊંચું) હોવાથી બપોરે 12 થી 4 દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં રહેવું ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 24C આસપાસ રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેતા બફારો વધી શકે છે. પશ્ચિમ દિશા તરફથી 4 mphની ગતિએ ફૂંકાતા પવનો ગરમીથી આંશિક રાહત આપશે. નિષ્ણાતોના મતે, ગરમી અને ડિહાઈડ્રેશનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત કે નાળિયેર પાણી લેવું હિતાવહ છે. આગામી 2-3 દિવસમાં પારો ફરી 1 થી 2 ડિગ્રી ઉંચકાય તેવી શક્યતા છે. આગામી અઠવાડિયાનું અનુમાનસમગ્ર અઠવાડિયા દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 29C થી 31C વચ્ચે રહેશે. વીકેન્ડમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ 43% થી 69% અને પવનની ગતિ 9થી 11 mph રહેવાની સંભાવના છે.સોમવારથી રવિવાર સુધીનું પૂર્વાનુમાન
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજીના ઓછા ભાવે વેચાણના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન એક યુવકને ચાકુથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શાકભાજી ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતીગત સાંજે શહેરના મકરપુરા GIDC પાસે ભૂમિ ચોકડી ખાતે એક ઘટના બની હતી. મહેન્દ્રનગરમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. ટેમ્પો બંધ પડતા તેમણે રોડની બાજુમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીક જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં આવ્યા અને ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. કમર, ગળા અને ડાબી આંખ પાસે ચાકુના ઘા માર્યાત્યારબાદ ઇમરાનના ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ સામેલ થયો હતો. બાદમાં સામાન્ય બોલાચાલી બાદ વાત ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢીને મુકીમને કમર, ગળા અને ડાબી આંખ પાસે ઘા કર્યા હતા. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મુકીમને એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. મુકીમે ઇમરાન તસીરખાન, મોહમ્મદ સાબાન ખાન તેમજ શાહિદ સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે કોલર પકડીને ગાળાગાળી અને મારામારીની ફરિયાદ કરીબીજી તરફ ઇમરાન તસીરખાને પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર મુકીમ તેમની બાજુમાં ટેમ્પો રાખીને ઓછા ભાવે શાકભાજી વેચવા લાગ્યા હતા. તેમને ટેમ્પો સાઈડમાં રાખવા જણાવ્યું હતું, પરંતુ મુકીમે તેમ ન કર્યું કરતા બબાલ થઈ હતી. ત્યારબાદ મુકીમે કોલર પકડીને ગાળાગાળી કરી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝપાઝપીમાં ઇમરાન, મોહમ્મદ સાબાન અને સાહિબે આલમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેઓ પણ 108 એમ્બ્યુલન્સ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ ઘટના અંગે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત સાંજે સર્જાયેલ આ મારામારીમાં પણ ઘાતક હથિયાર ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો યુવકને છાતીના કે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો કદાચ જીવલેણ સાબિત થઈ હોત. ત્યારે પોલીસે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ફરી નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
મહેસાણા જિલ્લાના ગોઝારિયા વિસ્તારમાં આવેલી નવી જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી હતી.ગોઝારિયાના નિર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામની લાકડાની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠીમોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ કંપનીમાં રહેલા લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 10 હજાર લિટર પાણીનો મારો ને 5 કલાકની મહામહેનતે આગ કાબુમા આવીફાયર વિભાગની ટીમે સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આશરે 10 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આખરે સવારે 7 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જેના કારણે તંત્ર અને કંપની માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગને કારણે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા આર્થિક નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આવતીકાલે, 16 માર્ચના રોજ જન્મદિવસ છે. આ અવસરને વધાવવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરીથી ટિકિટ મળેની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યાસુરત મહાનગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણી થોડા સમયમાં જાહેર થશે અને તે પહેલા સી આર પાટીલનો જન્મદિવસ હોવાને કારણે અનેક પૂર્વ કોર્પોરેટરો સીઆર પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને પોતાને ફરીથી ટિકિટ મળે તેની લાલચે સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. આવતીકાલે દિલ્હી જવાના હોવાથી આજે જ શુભેચ્છાઓનો વરસાદસામાન્ય રીતે રાજકીય નેતાઓના જન્મદિવસે મોટા પાયે આયોજનો થતા હોય છે, પરંતુ આ વખતે 16 માર્ચના રોજ દિલ્હી ખાતે સંસદનું સત્ર ચાલુ હોવાથી સી.આર. પાટીલ આવતીકાલે દિલ્હીમાં વ્યસ્ત રહેવાના છે. આ કારણોસર તેઓ આવતીકાલે પોતાના મતવિસ્તાર અથવા સુરત ખાતે હાજર રહી શકે તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યભરના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રશંસકો આજે જ મોટી સંખ્યામાં તેમને રૂબરૂ મળીને જન્મદિવસની અગાઉથી શુભકામનાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા છે. સવારથી જ તેમના નિવાસસ્થાન પર ફૂલહાર અને બુકે સાથે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે- પાટીલસી.આર. પાટીલે હંમેશા પેજ સમિતિ અને મજબૂત સંગઠન સાથે છેવાડાના માનવી સુધી પહોંચવા પર ભાર મૂક્યો છે. આ વર્ષે પણ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોને એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારના ભવ્ય આયોજનો, હોર્ડિંગ્સ કે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવાને બદલે, આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે. બ્લડ ડોનેશન કેમ્પ, અનાજની કિટનું વિતરણ જેમાં ઠેર-ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવી.જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવું અથવા ભોજન કરાવવું. વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણની જાળવણી કરવી. તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવું જોઈએ. સી.આર. પાટીલ ભારતની લોકસભામાં સૌથી વધુ લીડથી જીતનાર સાંસદોમાં સ્થાન ધરાવે છે. તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને આધુનિક બનાવ્યું છે અને ડિજિટલ ડેટાબેઝ દ્વારા કાર્યકરોને સીધા નેતૃત્વ સાથે જોડ્યા છે.
પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. LCBએ લકઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવેલા 21 જુગારીઓને 2 લાખની રોકડ સહિત 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સપાટો બોલાવી છે. જોકે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. LCBએ ચારેય દિશા કોર્ડન કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યાગાંધીનગર LCBને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ફતેપુરાથી દિપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગે ડાબી બાજુએ આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડ્ડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહે છે. જેના પગલે LCBની ટીમો જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે અગાઉથી ચારેય દિશા કાર્ડન કરી 21 જુગારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓજુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (કુબેરનગર, અમદાવાદ), નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રામોલ, અમદાવાદ), રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (નારોલ, અમદાવાદ), રણજીત જગતસિંહ યાદવ (પેથાપુર, ગાંધીનગર), સંદિપ મુકેશભાઈ રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (નવા વાડજ, અમદાવાદ), દિનેશ અત્તરસિંગ કુશવાહ (ચાંદલોડીયા, અમદાવાદ), રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (પીંપળજ, અમદાવાદ), પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (ચાંદલોડીયા, અમદાવાદ), રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્યોના નામ સોનુંસિંગ રામબિહારી જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ,), મુકેશભાઈ કનુભાઇ ભરવાડ (નારોલ, અમદાવાદ), સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (મેઘાણીનગર, અમદાવાદ), ધીરેન અમરસિંહ રાઠોડ (ચાંદલોડીયા, અમદાવાદ), જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (મેઘાણીનગર, અમદાવાદ,), બબલુ રામસેવક રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (ન્યુ રાણીપ, અમદાવાદ), અરવિંદ જગદીશ પાંડે (ચાંદલોડીયા), જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ), માનસિંઘ રામવંશ કુશવાહ (ચાણક્યપુરી, અમદાવાદ,) અને ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. 2.04 લાખ રોકડા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોઆ અંગે PI ડી બી વાળાએ કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી. તે બદલ 5,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ જુગારીઓ મોટાભાગે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે. જુગારીઓ પાસેથી 2.04 લાખ રોકડા, રૂ.1.25 લાખના 21 મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.21.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતાં. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયોરાજ્યમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં તાપમાન ધીમે ધીમે વધતું જાય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત રહી શકે છે. ભેજનું પ્રમાણ વધવાથી ગરમીમાં રાહત મળશેહવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને પવનની દિશામાં ફેરફાર થશે. જેના પરિણામે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી નાગરિકોને રાહત મળશે. 18થી 20 માર્ચ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તેમજ માર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટો આવતા નાગરિકો માટે ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે. અનેક વિસ્તારોમાં ઘઉં, જીરૂં, ચણા સહિતના પાકને કમોસમી વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
યુવતી ભગાડવા મામલે પરિવાર પર હુમલો:વડાવલીમાં ઘરમાં તોડફોડ, બાળકને ઈજા, વાહન-ઘરવખરીને નુકસાન
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયો હતો. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડી દેવાયું હતું. આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજા થઈ હતી અને ઘરવખરી તેમજ વાહનને નુકસાન થયું હતું. આ ઘટનાની વિગત એવી છે કે, વડાવલી ગામના જયંતીભાઈ મુળચંદદાસ પટેલનો પુત્ર નૈનેશ ચવેલી ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ બાબતે વાતચીત કરવાના બહાને ચવેલી ગામના ચાર અને વડાવલી ગામના ત્રણ એમ કુલ સાત વ્યક્તિઓ જયંતીભાઈના ઘરે આવ્યા હતા. જયંતીભાઈ અને તેમના પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે હુમલાખોરોએ યુવતીના ભાગી જવા અંગે કોઈ વાતચીત કરી ન હતી. તેના બદલે, તેઓએ જયંતીભાઈ, તેમની પત્ની, પુત્ર નિલેશ, કાકા દિનેશ પટેલ અને તેમના પુત્ર મીત દિનેશ પટેલને સ્ટીલની પાઈપો અને હિંચકાની સાંકળ વડે આડેધડ માર માર્યો હતો, જેના કારણે સૌને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જયંતીભાઈ પટેલના ઘરમાં વોશિંગ મશીન, બારીના કાચ, બહાર પડેલી ઈકો ગાડી અને ઘરમાં રહેલા ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડીને ઘોડિયું તોડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન નિલેશ પટેલનો સોનાનો દોરો અને તેમની પત્નીનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, જે બાદમાં મળ્યું ન હતું. ઘટના બાદ 112 નંબર પર જાણ કરવામાં આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્માની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિલેશ પટેલની ફરિયાદના આધારે અમરત પટેલ, સાહિલ અમરત પટેલ, તીર્થ પટેલ, ધાર્મિક પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) અને બકાભાઈ પટેલ, સાવન પટેલ, આનંદ પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ SOGએ કોઈપણ જાતની મેડિકલની ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બેડલા ગામમાં 45 વર્ષીય ભાવેશ જોશી નામનો યુવાન ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ગ્રાહક બની રેડ પડી હતી અને તેને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન કબજે કર્યા છે. બોગસ ડોક્ટર છેલ્લા 6 મહિનાથી તબીબી પ્રેક્ટિસ કરી લોકોને આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જેને પોતે કોલેજ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં દવાખાનું ખોલી નાખ્યું હતું. ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યુંSOG પોલીસને 14 માર્ચના બેડલા ગામે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ ત્યાં પહોંચી તો બેડલા ગામના રામજી મંદિર પાસે દવાખાનું હતું. જે તબીબ ભાવેશ જોશીનું હોવાનું જણાયું હતું. જેથી તેની પાસેથી મેડિકલ ડિગ્રી માંગવામાં આવી હતી. જો કે, મેડિકલની કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસની વધુ પૂછપરછમાં તે રાજકોટના મવડી મેઇન રોડ ઉપર રહેતો હોવાનું અને અહીં મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે તેની પાસેથી હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન વગેરે તથા રોકડા રૂ.4500 મળી કુલ કિંમત રૂ.50,199નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની વિરુદ્ધ ગૂનો દાખલ કરી ધરપકડ કરી હતી.
પાટણ લોક અદાલતમાં ₹11.90 કરોડના સેટલમેન્ટ એવોર્ડ:38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો
પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 38,180 કેસો રજૂ કરાયા હતા. તેમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 'ન્યાય સર્વના માટે'ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા દેશભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તેની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં આ અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, વાહન અકસ્માત, મજૂર તકરાર, લગ્નજીવન તકરાર કે પરિવાર સંબંધિત કેસો, બેંકના દાવાઓ, જમીન વળતર અને અન્ય દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાનને લાયક કેસોનો સમાવેશ કરાયો હતો. પ્રિ-લિટીગેશન કેસોનો પણ સુખદ નિકાલ થાય તે હેતુથી તેમને લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાની લોક અદાલતમાં કુલ 33,024 પ્રિ-લિટીગેશન કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 7,181 કેસોનો નિકાલ થયો અને ₹98,64,559નું સેટલમેન્ટ થયું. રેગ્યુલર લોક અદાલતમાં 1,659 કેસોમાંથી 634 કેસોમાં સુખદ સમાધાન થયું, જેમાં ₹10,91,97,339ના એવોર્ડ અપાયા. આ ઉપરાંત, 3,497 ક્રિમિનલ કેસો સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 3,186 કેસોનો નિકાલ થયો. આમ, પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો અને કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ માહિતી પાટણ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ આપી હતી. આ લોક અદાલતોની પાટણ જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોએ મુલાકાત લીધી હતી.
જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામના રામદૂતનગરમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બે પશ્ચિમ બંગાળી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. SOG પી.આઈ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને લાલજીભાઈ રાતડીયા નામના બાતમીદારો દ્વારા ચોક્કસ વિગત મળી હતી કે મેઘપરના મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બે શખ્સો દવાખાનું ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે SOG ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રોવાસ વિશ્વાસ નામના શખ્સ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. 2511 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે મીલટન રતનભાઈ બિશ્વાસ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત કુલ રૂ. 2538 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બંને શખ્સો લાયકાત વગર દર્દીઓને તપાસતા, ઈન્જેક્શન આપતા અને બાટલા ચડાવીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) અને મીલટન રતનભાઈ બિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા B.N.S. કલમ 125 મુજબ એ.એસ.આઈ. અશોકભાઈ સિંહલાએ ગુનો દાખલ કરાવ્યો છે. આ કામગીરીમાં SOG ના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર અને સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે બનાવટી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગે બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં દરોડા પાડી બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં રાણાભાઈ જેસાભાઈ સુસરા અને રાજુભાઈ જસાભાઈ આલના રહેણાંક મકાનોમાંથી શંકાસ્પદ 220 લીટર બનાવટી દૂધ, 214 કિલો પાવડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ મળી આવ્યું હતું. કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈને તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવતા બનાવટી દૂધના જથ્થાનો રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ કામગીરી ખાંભા પીઆઈ કરણરાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કળસરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાંભા પંથકના ગામડાઓમાં બનાવટી દૂધ બનાવવાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. અગાઉ પણ અહીંની ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે અને પોલીસે ભૂતકાળમાં પણ દરોડા પાડ્યા છે. ફરીવાર આ નકલી દૂધ પર અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ફૂડ વિભાગ દ્વારા ગામડાઓમાં દૂધના વેપારની વ્યાપક તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લાની કેટલીક જાણીતી ડેરીઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.
અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય પર 'હિટલરશાહી' ચલાવવાનો, સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો અને લોકસેવાને બદલે અંગત અદાવત રાખવાના ગંભીર આક્ષેપો સાથેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. NRI યુવકને માર મારવાથી લઈને સોસાયટીઓના રોડના કામ અટકાવવા સુધીના વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આંતરિક વિખવાદ નહીં શમે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ હારનો સામનો કરવો પડી શકે છે. ડો. હસમુખ પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ ન કર્યોચૂંટણીમાં જીત માટે ટક્કરવાળી તેમજ કોંગ્રેસના વોટબેંકવાળી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભામાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ હવે ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના વિવાદો અને તેમની કાર્યશૈલીથી વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે. ધારાસભ્ય પોતાની મનમાની કરી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મુદિદે અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. અમરાઈવાડી વિધાનસભાના પ્રભારીનું ઘટનાથી અજાણ હોવાનું નિવેદનઅમરાઈવાડી વિધાનસભાના ભાજપના પ્રભારી હેમંત મગરેનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરી આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું આ ગ્રુપમાં નથી મને આ સ્ક્રીનશોટ વાઇરલ થયા છે તે અંગે કોઈ જાણ નથી. આપણે આ બધી રૂબરૂમાં મળીને ચર્ચા કરીશું એમ કહી અને ફોન કાપી નાખ્યો હતો. જ્યારે અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડના પ્રભારી હાર્દિક રાવલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવી કોઈ બાબત આવી નથી. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના 'Team BJP Amraiwadi' નામથી ચાલતાં વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓની નારાજગી અંગેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે... અત્યારે અમરાવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓને કોઇ સાંભળવા માટે રાજી છે જ નહીં. જો તમે સામે બોલો, સામે પડો તો તમારી ઉપર તરત એક્શન લેવામાં આવે છે. સિનિયર કાર્યકર્તા પ્રશ્નની ચર્ચા પ્રભારી સાથે કરે છે અને ચર્ચાનો નિકાલ નથી આવતો.સિનિયર કાર્યકર્તાનુ નિવેદન એ છે કે પ્રભારી તેમની વાત સાંભળતા નથી. ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબધ્ધ પાર્ટી છે તો સંગઠનમાં સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને પ્રભારી અવગણી દે તે વ્યાજબી કહેવાય ખરું?, અન્ય કાર્યકર્તાઓને પણ જાણ થવી જ જોઈએ કે સત્ય શું છે? સત્યની તપાસ થવી જ જોઈએ. આ આખા વિષયમાં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને અવગણવામાં પ્રભારીને શું રસ હોઈ શકે?, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી, પૂર્વ પ્રમુખ - મહામંત્રી, વરિષ્ઠ કાર્યકર્તા શકે અન્ય કાર્યકર્તા જેવા કોઈપણ આગેવાનને સમજ પડે તો અમને સમજાવવા વિનંતી છે. 'મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું'કાર્યકર્તાઓએ રોષ ઠાલવતાં લખ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા છીએ. પાર્ટી માટે કારખાનામાંથી દિવસ પાડીને પ્રચાર કરતા હોય તેમજ પાર્ટીના હિત માટે કાર્યો કરતા હોય. નવા નવા યુવા કાર્યકતાનું જોડાણ કરતા હોવાની આ બધી મેહનત કર્યા પછી જો તમને કોઇ હોદ્દેદાર જવાબ ના આપે તો કોની પાસે અપેક્ષા રાખીએ...?, સાહેબ નકરું બસ ભરવા અને ભીડ ભેગી કરવા કાર્યકર્તા નથી બન્યા. મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું. લોકસેવામાં હાજર રહેવું પડે, લોકોને મળવું પડે, લોકોની સમસ્યા ગંભીરતાથી લઇને એનું સમાધાન કરવું પડે. 'કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું'અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે, ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામોમાં કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ હોય તેવું જણાતું નથી. ચૂંટાયા પછી આપ કોઈપણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. તેના બદલે, એવું જોવા મળી રહ્યું છે કે, આપનો સમય જે લોકો આપને પસંદ નથી, તેમને હેરાન પરેશાન કરવામાં વધુ ફાળવી રહ્યા છો. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિનું કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું. અમે આશા રાખીએ છીએ કે, આપ આ વલણ બદલીને જનતાના પડતર પ્રશ્નો અને વિસ્તારના વિકાસ પર ધ્યાન આપશો અને ટૂંક સમયમાં જ રહીશોની મુલાકાત લેશો. એસી કારમાં રહેનારા તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજેભાજપના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈએ ગ્રુપમાં લખ્યું હતું કે, આજરોજ મેં ઇન્દ્રપુરી વોર્ડના કાર્યકર્તાઓ વિશે પ્રભારીને ચર્ચા કરતા ચર્ચાનો કોઇ નિકાલ ના કર્યોને પ્રભારીએ કોઈ સારી રીતે જવાબ મને આપ્યો નથી. પ્રભારી કોઈની વાત સાંભળતા નથી તો પ્રભારીને મારી વિનંતી છે કે વોર્ડની અંદર જે પ્રોબ્લેમ હોય તેનો ઉકેલ લાવો અને સિનિયર કાર્યકર્તાઓનું કોઇપણ અપમાન કરે તે ચલાવી લેવાના નથી. સત્યની તપાસ કરો અને સાચું કહો કોઇપણ કાર્યકર્તાઓનું સન્માન ધવાય તે ચલાવી લેવામાં નહિ આવે. ગ્રુપમાં મહિલા કાર્યકર્તાઓએ પણ બળાપો કાઢતા કહ્યું હતું કે, બે મહીનાની આવેલાને હોદ્દા ઉપર બેસાડી દે છે અને વર્ષોની મજૂરી કોઈને દેખાતી નથી. એસી ઓફિસ અને એસી કારમાં રહેનારા આ તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજે છે. જુગાર-દારૂના અડ્ડા બંધ કરાવવાની અનેક રજૂઆતોનું નિરાકરણ નહીંઅમરાઈવાડી વિધાનસભામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓને બંધ કરાવવા માટે પણ ભાજપના ધારાસભ્યને ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ અવારનવાર ચર્ચા કરી હોય તેવી ચર્ચા પણ ગ્રુપમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાં ચાલતા દેશી અને ઇંગલિશ દારૂના અડ્ડાઓના લિસ્ટનો ફોટો પણ કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આક્ષેપ પણ કર્યો હતો કે, આ ધંધાઓ ચાલે છે જે અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. NRIને માર માર્યો હોવાની ઘટનાને લઈને પણ હસમુખ પટેલ વિવાદમાંઅમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો સામે આવ્યા છે. જેમાં તાજેતરમાં જ એક NRI યુવકને એક સામાન્ય અકસ્માત બાબતે કોઈ તેમના ઓળખીતા સાથે બોલાચાલી થઈ હતી. એ બોલાચાલી બાબતે NRI યુવકને બોલાવીને તેમની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સમાધાન કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી હતી. ધારાસભ્ય હોવાને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાની ચર્ચા પણ જાગી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ મોટાભાગના કાર્યકર્તાઓ નારાજભાજપના આંતરિક સૂત્રોમાં ચર્ચા જાગી છે કે, ભાજપના નેતા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈની જગ્યામાં તેમના માણસોને બેસવા માટે એક કન્ટેનર મૂકવામાં આવેલું હતું. તે કન્ટેનરને પણ ધારાસભ્ય ડો. હસમુખ પટેલ દ્વારા હટાવવાવામાં આવ્યું છે. તેમજ ઉનાળામાં પાણીની પરબ બનાવવામાં આવી છે જેમાં એક છાપરું બનાવવામાં આવ્યું હતું જે પણ તોડાવી નાખવામાં આવ્યું હોવા અંગેની ચર્ચા ચાલી રહી છે. જેમાં ધર્મેન્દ્ર પટેલ અને ધારાસભ્ય વચ્ચે આંતરિક વિખવાદ થયો છે. અમરાઈવાડી વિધાનસભાના કેટલાક કાર્યકર્તાઓથી લઈને નેતાઓ પણ હવે ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય ટિકિટ અપાવી દેશે જેની લાલચ રાખીને તેમના પક્ષમાં બોલી રહ્યા છે, પરંતુ મોટાભાગના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ અણબનાવને લઈ વિવાદમાંતાજેતરમાં જ બીજો એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં ભાજપના યુવા કાર્યકર્તાની સોસાયટીમાં બજેટમાં આપવામાં આવેલા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહોતું. અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડમાં સુરેલીયા એસ્ટેટ પાસે આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ રહેલા અણબનાવને લઈને સોસાયટીના રોડનું કામ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જે સોસાયટીના ચેરમેન પણ છે તેમના કારણે ખાતમુહૂર્ત કર્યું નહીં અને સોસાયટીના રોડનું કામ પણ અટકાવી દીધું હતું. સોસાયટીના ચેરમેનને લેટરપેડ લઈને આવવા માટે ધારાસભ્યએ કહ્યું છે ત્યારબાદ જ કામ ચાલુ થશે. અમરાઈવાડીમાં આવેલા એક એસ્ટેટનો મુદ્દો પણ ખૂબ ગાજ્યો હતોવર્ષો જુના એસ્ટેટમાં કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં રોડ કપાત આવતો હતો જેથી ઘણા બધા એસ્ટેટના શેડ તૂટતા હતા. જેને લઈને એસ્ટેટના વેપારીઓ દ્વારા અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્યને વાત કરી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં અને એસ્ટેટની જગ્યાને બચાવવાની જગ્યાએ તોડવાની વાત કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી સુધી વેપારીઓએ રજૂઆત કરવી પડી હતી અને ત્યારબાદ તોડવાની બાબતને મોકો રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પણ ધારાસભ્યનો જ હાથ હોવાની ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે, અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા છે. તેમ છતાં પણ ભાજપના મોવડી મંડળ દ્વારા આ બાબતે કોઈ નોંધ લઈ વિવાદ શાંત કરવામાં આવ્યો નથી. ભાજપના નેતાઓએ પણ તેમના વિવાદ વિશે તેમને અનેક વખત પૂછ્યું છે, પરંતુ શા માટે આ પ્રકારે ભાજપના ધારાસભ્યના વિવાદને ભાજપના જ પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ અને પ્રભારી છાવરી રહ્યા છે તે અંગે ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર નજીક ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને ધંધો કરવા દેવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ AMC દ્વારા વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરાતાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ પોતે ગમે તેમ બેસીને જાતે ધંધો શરૂ કરી દીધો છે. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકો અને હેરિટેજ વિસ્તારને જાળવવા માટે ભાજપના એસ્ટેટ અને લીગલ વિભાગના ચેરમેન દ્વારા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભદ્ર પરિસર મુદ્દે ઢીલુ મૂકી દેવાતાં છેવટે ભદ્ર પરિસર ધમધમતું થયું છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ AMCએ કમિટીની રચના કરી નહીંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે નિયમ મુજબ તપાસ કરવામાં આવી નહીં અને જે પણ ફેરિયાઓ બેસી ગયા તેમને બેસવા દેવામાં આવ્યા હતાં. જગ્યા ફાળવી અને વ્યવસ્થિત રીતે બેસવા દેવા દેવાની સૂચના છતાં પણ ગમે તે જગ્યા ઉપર બેસી ગયા હતાં. હાઇકોર્ટના આદેશ બાદ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની કમિટીની રચના કરી નહીં અને ભદ્ર બજાર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. જોકે હવે આ વિસ્તારમાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવનારા અને વાહનો લઈને પસાર થનારા લોકોને ચોક્કસથી તકલીફ પડી શકે છે. 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થયુંલાલ દરવાજાના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો સર્વે કર્યા વિના તેમના હટાવવા બાબતે લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીથી 586 ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવા માટે આદેશ કર્યો છે. ત્યારે 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. સર્ટિફિકેટની ચકાસણી પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કર્યો હાઈકોર્ટના આદેશને અનુસરીને AMC દ્વારા ત્રણ અધિકારી અને એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફેરિયાઓને આપેલાં સર્ટિફિકેટની ચકાસણી કરીને ભદ્ર પરિસરમાં બેસવા દેવા માટેની પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારે સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તે પહેલાં જ ફેરિયાઓએ ભદ્ર વિસ્તારમાં પાથરણાં પાથરીને ધંધો કરવાનું શરૂ કરી દેવાને કારણે ભારે ભીડ જોવા મળી હતી. ગેરકાયદે બેસતાં ફેરિયાઓ પર એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી નહીં!એક પણ ફેરિયાઓની પાસે કયા સંસ્થાના ફેરિયાઓ છે અને વ્યવસ્થિત રીતે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમ એક જ લાઈનમાં અને પટ્ટા દોરી અને સરખી રીતે બેસવાનું હોવા છતાં પણ ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ બેસી ગયા હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે ધ્યાન આપ્યું નથી. ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો અને કબજો જમાવનારા લોકો સામે કાર્યવાહીની સૂચના છતાં પણ કોર્પોરેશનને કોઈ કાર્યવાહી કરી નહીં. ફરી ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતાસૂત્રોના જણાવ્યાનુસાર, હાઈકોર્ટના આદેશને પગલે ઘણાં સમય પછી ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવામાં આવશે. પરંતુ AMC રેકર્ડ પર નોંધાયેલા ફેરિયા- પાથરણાંવાળાઓની સરખામણીએ મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓનો રાફડો ફાટી નીકળે તેવી શક્યતા છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતા છે. વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા AMC દ્વારા ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાવાળાને દૂર કરવા માટે દબાણની ગાડીઓ અને સ્ટાફને ખડે પગે રાખવા અને મશીનરીને કામે લગાડવાની કામગીરી કરાઈ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોમાં સફળતા મેળવનારા લીગલ કમિટી અને એસ્ટેટ વિભાગના બંને ચેરમેનો ભદ્ર પરિસરના મુદ્દે નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
વેરાવળ શહેરના બંદર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે હાલ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર માછલીના પાણી અને કચરાના કારણે ચીકાશ વધતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ વેરાવળ બંદર અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં જણાવાયું છે કે વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ નાના-મોટા તમામ વાહનોને વેરાવળ બંદર રોડ પરથી જ પસાર થવું પડે છે. પરિણામે આ રસ્તા પર વાહનવ્યવહાર ખૂબ વધી ગયો છે અને દિવસભર ભારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં માછલી ભરેલા વાહનો પસાર થાય છે. ઘણા વાહનોમાંથી માછલીનું પાણી અને કચરો રોડ પર પડી રહે છે, જેના કારણે રસ્તો ખૂબ જ ચીકણો બની જાય છે. પરિણામે ઘણી વખત બે-ચક્રી વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત બંદર રોડ પર રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારું છવાઈ જાય છે. અંધારાના કારણે વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ વધુ વધી જાય છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે બંદર વિસ્તારમાંથી દરરોજ જવલા (માછલી) ભરેલી ખુલ્લી રીક્ષાઓ પસાર થાય છે. આ રીક્ષાઓમાંથી પડતા માછલીના પાણીના કારણે રસ્તો વધુ ચીકણો બની જાય છે અને રોજબરોજ બે-ત્રણ બાઈક સ્લીપ થવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે સાથે સરકારે જવલા માછલી મારવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ તેનો વેપાર ચાલુ હોવાની શંકા વ્યક્ત કરી તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ જનહિતને ધ્યાનમાં રાખીને બંદર રોડ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા, રોડ પર પડતા માછલીના કચરાની નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવા તેમજ વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી જરૂરી ટ્રાફિક સલામતીના પગલાં લેવા બંદર તંત્રને માંગ કરી છે.
ઝાયડસ હોસ્પિટલમાં ૧૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનિયર સિટીઝન નીલગીરી સોલા ગ્રુપ માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૮ સભ્યોએ નોંધણી કરાવી હતી અને ભાગ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા 'હેલ્થ ટોક' યોજવામાં આવી હતી, જેમાં સભ્યોના પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે પેટના રોગ, હૃદય રોગ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા વિષયો પર વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. ધૈવત વૈષ્ણવ, ડો. કેતન વેકરિયા અને ડો. રાજ પટેલ જેવા નિષ્ણાત ડોકટરોએ ઉપસ્થિત સભ્યોને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન નીલગીરી ગ્રુપના પ્રેસિડેન્ટ દશરથભાઈ અને રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન ચોકસીનું પણ અતિથિ વિશેષ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે હેલ્થ ટોકમાં ભાગ લીધો હતો.
વેરાવળમાં PC-PNDT એક્ટ પર વર્કશોપ યોજાયો:માતા મરણ અને જાતિ પરીક્ષણ રોકવા કાયદાની સમજ અપાઈ
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત એક ઓરિયેન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રૉયે 'માતા મરણ' અને કાયદાની અગત્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે આજના ટેક્નોલોજીના યુગમાં ફાયદાઓ સાથે કેટલાક દુષ્પરિણામો પણ જોવા મળે છે, ત્યારે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનું અમલીકરણ ગીર સોમનાથ જિલ્લામાં સહિયારા પ્રયાસોથી થાય તે દિશામાં ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. નોડલ એ.બી. ચૌધરીએ નોંધાયેલી તમામ સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ અને ડિલિવરી રજિસ્ટ્રેશન નિભાવીને માતા મરણ અટકાવવા પર ભાર મૂક્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે સોનોગ્રાફી અને આરોગ્યલક્ષી સ્કેનર મશીન સહિતના ઉત્પાદકોને પણ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ લાગુ પડે છે તેમ જણાવ્યું હતું. તેમણે તપાસ દરમિયાનની ક્ષતિઓના નિવારણ, હોસ્પિટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન-રિન્યૂઅલ સહિત એક્ટની વિવિધ કલમો અંગે વિગતવાર માહિતી આપી હતી. ડૉ. દુમાતરે વધુમાં ફોર્મ-એફ માં રાખવાની થતી તકેદારી, હોસ્પિટલમાં નવા સોનોગ્રાફી મશીનના યુઝર ડોક્ટર ઉમેરવા અંગેની અરજી, નવું સોનોગ્રાફી મશીન ખરીદ કરવા અંગેની અરજી અને સોનોગ્રાફી ઇમેજિંગ મશીન ઇન્સ્ટોલ થયા બાદ મશીનની વિગતો ફોર્મ-બી માં ઉમેરવા માટેની પ્રક્રિયા સમજાવી હતી. ડૉ. પુનિત રાખોલિયા અને ડૉ. દોમડિયા સહિતના અન્ય ડોકટરોએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ટેક્નોલોજીના ઉપયોગ અને સોશિયલ મીડિયાની સામાજિક અસરોને સાંકળીને પોતાના પ્રતિભાવો અને વિચારો રજૂ કર્યા હતા. ક્વોલિટી મેડિકલ ઈન્શ્યોરન્સ ઓફિસર શ્રી એચ. કણસાગરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ધ્યેય નવા રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સ અને ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જાણકારી આપવાનો છે, જેથી ભવિષ્યમાં કાયદાકીય કાળજી રાખી શકાય.પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કિંદરખેડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નું જિલ્લાનું માળખું, નિયમોનુસાર પ્રક્રિયા, સેક્સ રેશિયો અને કુલ રજિસ્ટ્રેશન્સ સહિતની વિગતો વર્ણવી હતી. ઉપસ્થિત સર્વેએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટેના શપથ લીધા હતા.આ વર્કશોપમાં ઉના સિવિલ સુપરિટેન્ડન્ટ મિશ્રા, વેરાવળ સહિત જિલ્લાના પ્રેક્ટીશનર્સ અને પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગત નોંધાયેલા ડોકટરો, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-સોમનાથ હાઈવે પર ભુવાટીંબી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કારે બાઇકને ટક્કર મારી એક કિલોમીટરથી વધુ દૂર સુધી ઘસડ્યું હતું, જેના પરિણામે બાઇક પર સવાર બે યુવકો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પ્રાસલી ગામ નજીક મોગલમાતા મંદિર પાસેથી સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં તેને સુત્રાપાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં તાલાલા તાલુકાના જશાધાર ગામના રહેવાસી પ્રવેશભાઈ કાળુભાઈ અને રજનીભાઈ જયંતિભાઈ નામના બે યુવકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને અન્ય મુસાફરોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બંનેને કોડીનારની રાનાવાળા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 32B 3617 છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તબીબ હોવાનું અને નશાની હાલતમાં હોવાનું મનાય છે. આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
સામાન્ય બોલાચાલીની દાઝ રાખી હુમલો:પાદરગઢ પાસે યુવાન પર પાઇપથી ચાર શખ્સનો હુમલો, ગંભીર ઇજા
દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પાદરગઢ ગામે રહેતા એક વ્યક્તિ પર ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દાઠા પોલીસ સ્ટેશનમાં હરીશકુમાર મનુભાઈ પરમાર રહે પાદરગઢએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ કામકાજ પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમુક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાના ઘરે જઈ વાળું પાણી કરી થોડા સમય બાદ ઘરેથી બહાર પાન-માવો લેવા માટે નીકળ્યા હતા. તે સમયે રઘુ ગીગાભાઈ ભમ્મર, દાદુ કાદુભાઈ કામળિયા, ભીમા હમીરભાઈ કામળિયા તથા એક અજાણ્યો શખ્સ એક સંપ થઈ અને એકબીજાની મદદગારી કરી હરીશભાઈ પરમાર પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હરીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત હરીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઘોઘા તાલુકાના સણોદર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસણખોરી અને બાદમાં થયેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા પુરુષના અવાજની શંકા થતાં પરિવારજનો જાગી જતા રૂમમાંથી એક યુવક ઝડપાઈ જતા મામલો બગડ્યો હતો અને બાદમાં બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં લાકડાના ધોકાથી હુમલો થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘોઘા તાલુકાના સણોદર ગામે રહેતા એક ફરિયાદી મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પરિવારના સભ્યો અલગ અલગ રૂમમાં સુવા ગયા હતા. રાત્રે અંદાજે 10:30 વાગ્યે ફરિયાદી પાણી પીવા માટે ઊભા થયા ત્યારે તેમના ભાભી એકલા સુતા હોય તે રૂમમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાતા તેમને શંકા ઉપજી હતી. જેથી ફરિયાદીએ પરિવારજનોને જગાડી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા થોડા પ્રયત્નો બાદ દરવાજો ખૂલ્યો હતો. દરવાજો ખુલતા રૂમની અંદર ફરિયાદીના ભાભી સાથે ગામમાં રહેતો અજય ઘુઘાભાઈ હળવદિયા હાજર હોવાનું જણાયું હતું. પરિવારજનોને જોઈ અજય ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. તેને પકડવા માટે રાડુ દેકારા થતા અજયના સંબંધીઓ રાહુલ હળવદિયા, અનિલ હળવદિયા, સુનિલ હળવદિયા અને વિજય ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન વિજય અને રાહુલે ફરિયાદી તથા તેના પરિવારજનોને ધક્કા મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ભૂંડા બોલી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઘટનાની જાણ થતા ફરિયાદીના અન્ય કુટુંબી ભાઈઓ પણ સ્થળે આવી જતા બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સાથે જ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. તમે કંઈ નહીં કરી શકો, અમારું કાંઈ બગડશે નહીંઆ સમગ્ર ઘટના બન્યા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓના સગા-સંબંધીઓ સહિતના લોકોએ એક જ ગામમાં રહેતા હોવાથી તમે અમારું કંઈ કરી શકશો નહીં અને અમારું કંઈ બગડવાનું પણ નથી તેવી ધમકીઓ આપતા ફરિયાદી ભયભીત બન્યા હતા. જેના પગલે ફરિયાદીએ આખરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવી પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
છોટે કાશીમાં અસુવિધા:સિહોર તાલુકો, 78 ગામ છતાં સીધી ઉપડતી એકપણ ST નહીં
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ઔદ્યોગિક વિકાસ સાથે અગ્રિમ ગણાતા સિહોરમાં આજે કેટલીક મૂળભૂત પાયાની સવલતનો અભાવ જોવા મળે છે. સિહોરનો સ્ટીલ રી-રોલિંગ મિલનો ઉદ્યોગ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો સુધી જોડાયેલો છે. સિહોર ઔદ્યોગિક વિકાસ ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં શહેરમાં એસ.ટી. ડેપોની સવલત મળી નથી. સિહોર તાલુકાને એસ.ટી. ડેપોની સવલત ન મળતા હાઇવે પર હોવા છતાં સિહોરને સીધી જોડતી એકપણ બસની સવલત ન મળતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે. જોકે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર-વરલ-ટાણા એક જ શટલ બસ રગશિયા ગાડાની માફક ચાલ્યા કરે છે. સિહોરથી પાલિતાણા, જેસર,અમરેલી,આટકોટ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના સ્થળોએ જવા માટે એસ.ટી.ની સવલત મળતી નથી. જિલ્લાના મહુવા, તળાજા, પાલિતાણા, વલભીપુર સહિતના તાલુકા મથકોએ એસ.ટી. ડેપોની વસલત છે ત્યારે સિહોરને આટલો મોટો અન્યાય શા માટે ? તેવા સવાલો આમ જનતામાં ઉઠી રહ્યા છે. સિહોરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. જેમાં કામ કરતા પર પ્રાંતીય મજુરો માટે લાંબા અંતરની એસ.ટી.ની સુવિધા નથી. સિહોર તાલુકાના 23 ગામો STથી વંચિતસિહોરના ભડલી, ધ્રુપકા, નવાગામ મોટા, મગલાણા, ભાણગઢ, ભોળાદ, ભાંખલ, બેકડી, થાળા, થોરાળી, ઝરિયા, સરવેડી, પાડાપાણ, પીપરડી, સરકડિયા (સોન), ઢાંકણકુંડા, ચોરવડલા, ઇશ્વરિયા, સમઢિયાળા, દેવગાણા, અગિયાળી, રબારિકા, તરકપાલડીમાં આજે પણ બસની સવલત નથી ત્યારે લોકોને નાછૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. સિહોરમાં ST ડેપો હોય તો તાલુકાની પ્રજાને લાભસિહોર એક તાલુકા મથક હોવા ઉપરાંત ભાવનગર –રાજકોટ હાઇ-વે પરનું મોટું શહેર છે. સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ બને તો તાલુકાના અનેક ગામોના લોકોને લાભ થાય. વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં અપ-ડાઉન ન કરવું પડે. લોકો સલામત સવારી કરી શકે. એસ.ટી. વિભાગ દ્વારા આ આ બાબતે વિચારવું જ રહ્યું. - ભાવેશભાઇ વોરા મંત્રી, સિહોર શહેર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
બાકી વીજ બિલ બાબતે ગ્રામ્ય પંથકમાં આવી જાગૃતતા:જિલ્લાના 13 ગામે વીજળીના 100% બિલ ભર્યા
હિસાબી વર્ષ અંતે મોટાભાગના સરકારી ખાતામાં જમા-ઉધારના લેખા જોખા સાથે કામગીરી વેગવંતી બનતી હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીનું વિતરણ, ગ્રાહકોને વીજળી પુરવઠો આપવા, વીજ બિલ વસુલાત, નવા જોડાણ આપવા અને વીજળીના માળખાગત વ્યવસ્થાપનનું કામ કરતી PGVCLમાં હાલ વીજળીના બાકી બિલની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એક તરફ વીજ કર્મચારીઓ વીજળીના બાકી બિલ વસૂલવા અથાગ મહેનત કરી રહ્યા છે. તેનાથી વિપરીત ભાવનગર જિલ્લામાં નવી લહેર સાથે વીજળી બાકી બિલના નાણાં ભરવા લોકોમાં આવેલી જાગૃતતાથી જિલ્લાના 13 ગામોએ વીજળીના 100% બિલ ભર્યા છે. હિસાબી વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી હોય PGVCL ભાવનગર સર્કલ નીચેના ભાવનગર સિટી-1, ભાવનગર સિટી-2, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી છે. ભાવનગર જિલ્લામાં PGVCLની નાણાં વસુલાતની ખાસ ઝુંબેશને ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું સમર્થન મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોની મદદથી PGVCLના બાકી બિલના નાણાં લોકો પોતાની જવાબદારીનો ભાગ ગણી સામેથી ભરી રહ્યા છે. 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશુંPGVCL ભાવનગર સર્કલ નીચેના વિસ્તારોમાં કે તરફ વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તો બીજી તરફ નાગરિક તરીકે રાષ્ટ્રિય ફરજ ગણી લોકો સામેથી વીજળીનું બાકી બિલ ભરી રહ્યા છે. PGVCL ભાવનગર સર્કલમાં હાલ 13 જેટલા ગામોએ સંપૂર્ણ બિલ ભરી દીધું છે. જે અમારા માટે ગૌરવ સમાન બાબત છે ત્યારે વીજળીનું 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશું. - યશપાલસિંહ જાડેજા, અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી ક્યા-ક્યા ગામોએ 100% બિલ ભર્યા
સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:MKB યુનિ.માં આ વર્ષે 88 પૈકી 51 મેડલ યુવતીઓના ફાળે,ગત વર્ષે 62 મેડલ મળેલા
આગામી તા.29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ સમગ્ર આયોજનની કમાન મહિલા શક્તિના હાથમાં રહેશે. આ સાથે યુનિ. દ્વારા જે 88 ગોલ્ડ અને સિલ્વર મેડલ તેજસ્વી યુવક યુવતીઓને એનાયત કરવાના છે તેમનાં આ વર્ષે એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે જેમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે યુવતીઓની મેડલ મેળવવાની ટકાવારી ઘટી છે અને યુવકોની વધી છે. આ વર્ષે કુલ 88 મેડલ પૈકી 51 મેડલ યુવતીઓએ મળ્યા છે જ્યારે 37 મેડલ યુવકોને ફાળે ગયા છે. ટકવારી મુજબ ગત વર્ષ. યુવતીઓને ફાળે 70 ટકા મેડલ હતા તે આ વર્ષે ઘટીને 57.95 ટકા થઇ ગઇ છે. જ્યારે યુવકોની મેડલ મેળવવાની ટકાવારી ગત વર્ષે માત્ર 30 ટકા હતી તે આ વર્ષે વધીને 42.05 ટકા થઇ ગઇ છે. તા. 29 માર્ચના રોજ આ દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 10,396 જૂના ડિગ્રીધારકો તથા ચાલુ વર્ષના 2,311 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 88 મેડલ છે તેમાં 51 મેડલ યુવતીઓના ફાળે ગયા છે. જ્યારે બાકીના 37 મેડલ યુવકોના ફાળે ગયા છે. ગત વર્ષે 88 મેડલ પૈકી 62 મેડલ યુવતીઓને અને 26 મેડલ યુવકોને મળ્યા હતા જે ટકાવારીની દ્રષ્ટિએ 70.45 ટકા મેડલો યુવતીઓને અને માત્ર 29.55 ટકા મેડલ યુવકોને મળ્યા હતા. આ વખતે યુવકોની ટકાવારી વધી છે. મેડિકલના એક જ વિદ્યાર્થીને 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલઆ વખતે દીક્ષાંત સમારોહમાં 88 મેડલ છે તેમાં સૌથી વધુ 8 મેડલ એક જ વિદ્યાર્થીને ફાળે ગયા છે. આ તેજસ્વી વિદ્યાર્થી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ ફાઇનલનો વિદ્યાર્થી છે. જય કમલેશભાઇ બજાજે 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલ મેળવ્યા છે. એમેબીબીએસની ફાઇનલમાં સૌથી વધુ માર્ક મેળવવા બદલ જયને 6 ગોલ્ડ, એ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર અને અને સિલ્વર મેડલ એનાયત થશે. દીક્ષાંત સમારોહનું આયોજન મહિલાઓ સંભાળશેઆ સમારંભની સૌથી વિશેષ બાબત એ છે કે તેની તમામ પાયાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુકાન મહિલા પ્રતિનિધિઓના હાથમાં હોવું એ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે.
ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજે 40 લાખ વ્યક્તિઓને વ્યસન મુક્તિની પ્રેરણા આપી હતી અને આ જ સિલસિલો પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ દ્વારા ચાલી રહ્યો છે, તેનાં દ્વારા અત્યાર સુધી 20 લાખથી વધારે વ્યક્તિઓએ વ્યસન છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ભાવનગરનાં વિવિધ વિસ્તારોનાં બાળકો શહેરના અલગ અલગ ફેક્ટરીઓ જેવી કે નિરમા લિમિટેડ, ચિત્રા વિસ્તારની અલગ અલગ ફેક્ટરીઓ, એસ ટી બસ સ્ટેન્ડ, વિવિધ વિસ્તારોમાં આવેલા હીરાના કારખાનાઓ, મામસાની અલગ અલગ ફેક્ટરીઓ,રેલવે સ્ટેશન,વગેરેમાં જઈને ત્યાંના નાના કામદારોથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને, દર્દીઓ ને વ્યસનથી થતાં શરીરનાં નુકશાન દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી, આ દુષણથી મુક્ત કરવાં માટે નિયમ ગ્રહણ કરાવીને તેનાં જીવનનું ભલું કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ નાની નાની બાલિકાઓએ પણ શહેરની અલગ અલગ 10 કરતાં વધારે હોસ્પિટલોમાં જઈને આશરે 350 કરતા પણ વધારે દર્દીઓ તેઓ જલ્દી સારા થઇ જાય અને તેમનું અને તેમના પરિવારનું જીવન આરોગ્યપ્રદ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ રીતે બાળકો અને બાલિકાઓની નિસ્વાર્થ ભાવે થતી સેવા જોઈને સામેના વ્યક્તિઓ વ્યસન છોડીને પોતાના અને પોતાના પરિવારને એક સુંદર અને આધ્યાત્મિક જીવનની પ્રેરણા લે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના ગુરુ મહંત સ્વામિ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 થી 15 એપ્રિલ 2026 સુધી BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે ઉપક્રમે ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ યોજવા જઈ રહ્યો છે તે માટે નાના મોટા તમામ સત્સંગી બાળકો,, ભાઈ, બહેનો દ્વારા અનોખો સેવા અને તપનાં નિયમો ગ્રહણ કરવામાં આવ્યા છે. 1250થી વધારે લોકોને નિર્વ્યસની બનાવ્યાભાવનગરનાં આશરે 350 કરતાં વધારે બાળકો અને બાલિકાએ અંદાજે 1250 કરતાં પણ વધારે લોકોને આ બીડી, સિગારેટ, તમાકુ વગેરે અનેક પ્રકારના વ્યસનોનાં દુષણથી મુક્ત કરીને નિવ્યસની બનીને તેનાં પરિવારનાં જીવનને ઉચ્ચ કક્ષાએ લઇ જવાની એક ઉમદા પ્રેરણા આપી રહ્યા છે. 60 જેટલાં કાર્યકરોની સાથે આ બાળકોની સુંદર અને નિસ્વાર્થભાવની સેવા દ્વારા સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
સન્ડે ફોટો સ્ટોરી:હરવા ફરવા માટેનું નવું નજરાણું, બોરતળાવ પાસે નિર્મિત અર્બન ફોરેસ્ટ
ભાવનગર એક એવું સ્થળ છે જ્યાં થોડા અંતરે તમને કંઈક નવું અને રમણીય સ્થળ જોવાં મળે. બોરતળાવથી ચાલો તો બટર ફ્લાય પાર્ક, બીજી દિશામાં તરસમિયા તળાવ, ટબુડી તળાવ, રુવા તળાવ, રવેચી ધામ, અકવાડા તળાવ, કુંભારવાડા બર્ડ વોચિંગ, કેબલ સ્ટેઇડ પૂલ, અરે આવા તો અનેક સ્થળો છે જેની રમણીયતા શબ્દોમાં વર્ણવી અશક્ય છે. બાગ બગીચા ધરાવતા સર્કલો તો ખરા જ. બોરતળાવ પાસે આવેલ આ અદભુત સ્થળ કે જ્યાં લખવામાં આવ્યું છે ‘’ I am in Urban Forest, BHAVNAGAR ‘’. તમે ફોરેસ્ટમાં આવી ગયા હોય અને બાજુમાં જ છલકાયેલું તળાવ હોય તો, ખરેખર આ રમણીયતાને માણવા જે તે સ્થળ પર જ જવું યોગ્ય ગણાશે.
વેધર રિપોર્ટ:બપોરે તાપમાન 3.6 ડિગ્રી ઘટીને 35.6 ડિગ્રી થઇ ગયુ
ભાવનગર શહેરમાં તાપમાનમાં વધઘટ સતત થઇ રહી છે ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 23.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર થઇ જતા સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી પવનના સૂસવાટા ફૂંકાતા ગરમીમાં રાહત મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતા બે દિવસ ગરમીમાં રાહત રહેવાની છે ત્યાર બાદ તા.16 માર્ચથી પુન: ગરમીનો પારો ઉચકાશે તેમજ તા.19 માર્ચે ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આથી નગરજનોએ આજે ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. સાથે આજે સાંજના સમયે 20 કિલોમીટરની તોફાની ઝડપે પવન ફૂંકાતા ગરમી ઘટી હતી. રાત્રે 3 ડિગ્રી વધુ તાપમાનશહેરમાં રાતનું ઉષ્ણતામાન 23.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે સામાન્ય રીતે હોવું જોઇએ તેનાથી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. તાપમાનમાં રોજિંદી વધઘટ
સિટી એન્કર:એડવાન્સ ટેક્સ માટે ITની ઇ-ઝૂંબેશ: ઇ-મેલ ફટકાર્યા
આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવવામાં આવી છે. વિભાગ દ્વારા મોકલાયેલા ઇ-મેલમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા ટર્નઓવર, ખરીદી અને અન્ય નોંધપાત્ર નાણાકીય વ્યવહારોની વિગતો દર્શાવવામાં આવી છે. આ માહિતી વિવિધ ડેટા સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમાં GST રિટર્ન ફાઇલિંગ, નાણાકીય વ્યવહારના રેકોર્ડ અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આ સંદેશાવ્યવહારનો મુખ્ય હેતુ કરદાતાઓને માર્ચ મહિનાની સમયમર્યાદા પહેલાં તેમની એડવાન્સ ટેક્સ જવાબદારીનું પુનર્મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરવાનો છે. વિભાગ ઈચ્છે છે કે જો કોઈ બાકી રકમ હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવવામાં આવે અને પછી વ્યાજ અથવા દંડની સ્થિતિ ઊભી ન થાય. કર અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલ ડેટા એનાલિટિક્સ અને માહિતી એકીકરણના વધતા ઉપયોગનો ભાગ છે. વિભાગ હવે વિવિધ સ્ત્રોતમાંથી મળતી માહિતીનું વિશ્લેષણ કરીને કરદાતાઓને સમયસર યાદ અપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી સ્વૈચ્છિક પાલન વધે. આવકવેરા વિભાગ દ્વારા વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવી છે. કર ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમના મતે, આવા લક્ષિત રીમાઇન્ડર કરદાતાઓને નાણાકીય ડેટાની અગાઉથી સમીક્ષા કરવાની તક આપે છે. જો ઓછો એડવાન્સ ટેક્સ ચૂકવાયો હોય તો સુધારો કરીને વ્યાજ કે દંડથી બચી શકાય છે. કેટલાક નિષ્ણાતોએ સંદેશાવ્યવહારના સમય અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા કરદાતાઓને 13 માર્ચની સાંજે આ ઇ-મેલ મળ્યા હોવાના અહેવાલ છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તા.15 માર્ચ છે. વચ્ચે સપ્તાહાંત હોવાથી કરદાતાઓને માહિતીનું વિશ્લેષણ કરવા અને વધારાની ચુકવણીની વ્યવસ્થા માટે ઓછો સમય મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરમાં ઝૂંબેશઇ-મેલમાં દર્શાવાયેલ ઊંચો GST ટર્નઓવર અથવા મોટા નાણાકીય વ્યવહારો આપમેળે એડવાન્સ ટેક્સ ચૂકવવાની ફરજ ઉભી કરતા નથી. જો કરદાતાને કરપાત્ર નફો હોય, TDS અથવા TCS ક્રેડિટ બાદ ચોખ્ખી કર જવાબદારી ₹10,000થી વધુ હોય ત્યારે જ એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી બને છે.આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. - સુનય જરીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
સન્ડે બિગ સ્ટોરી:હુમલાગ્રસ્ત જહાજો અલંગ માટે આફતમાં અવસર બની શકે
મધ્ય પૂર્વમાં વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને હોર્મુઝ સમુદ્રધૂની વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક જળમાર્ગીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે. ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુધ્ધના માહોલ વચ્ચે હોર્મુઝ સમુદ્રધૂનીમાં માલવાહક જહાજો પર હુમલાઓની ઘટનાઓ વધતી જઈ રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 25 જેટલા જહાજો પર હુમલા થયા હોવાનું આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ હુમલાઓને કારણે મોટા ભાગના જહાજો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યા છે. નિષ્ણાંતોના મત મુજબ, આ જહાજોને ફરીથી વેપારિક ફેરીમાં સામેલ કરવાની શક્યતા લગભગ નાબૂદ બની ગઈ છે. પરિણામે, આવા જહાજોને રિસાયક્લિંગ માટે મોકલવાની સંભાવનાઓ વધી રહી છે, જેના કારણે ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે નવી તકો ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇરાન દ્વારા હોર્મુઝ સમુદ્રધૂનીને નિયંત્રિત કરવામાં આવી રહી છે અને તેની આસપાસ રહેલા માલવાહક જહાજો પર હુમલા થવાના અહેવાલો મળી રહ્યા છે. વિશ્વના મહત્વના તેલ અને માલ પરિવહન માર્ગ તરીકે ઓળખાતી આ સમુદ્રધૂનીમાંથી દરરોજ મોટી સંખ્યામાં જહાજો પસાર થાય છે. તેથી અહીં થતા હુમલાઓનો સીધો પ્રભાવ વૈશ્વિક વેપાર અને શિપિંગ ઉદ્યોગ પર પડી રહ્યો છે. વિશ્વભરમાં શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે દક્ષિણ એશિયાના દેશોનું પ્રભુત્વ માનવામાં આવે છે. અંદાજે 80 ટકા જેટલા જહાજો રિસાયક્લિંગ માટે દક્ષિણ એશિયામાં મોકલવામાં આવે છે. આ ક્ષેત્રમાં ભારતનું અલંગ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ કેન્દ્રોમાંનું એક ગણાય છે. છેલ્લા ત્રણ વર્ષથી અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીલ અને સ્ક્રેપના ભાવ ઘટતાં જહાજ લાવવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. જોકે છેલ્લા થોડા સમયથી મેટલ અને સ્ક્રેપના ભાવોમાં ફરીથી ચેતના દેખાતા અલંગમાં ધીમે ધીમે જહાજોની આવક શરૂ થઈ રહી છે. વિશેષજ્ઞો માને છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુધ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ વિસ્તારમાં વધુ જહાજો નુકસાન પામે, તો આવા જહાજોને રિસાયક્લિંગ માટે અલંગ મોકલવાની સંભાવના વધુ છે. જહાજોને અંતિમ રીતે ભાંગવા માટે જરૂરી સુવિધાઓ, મજબૂત માળખું અને અનુભવી મજૂરબળના કારણે અલંગને આ માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે. દક્ષિણ એશિયામાં અલંગના મુખ્ય હરિફ તરીકે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપ બ્રેકિંગ યાર્ડો ગણાય છે. જોકે આ બંને દેશોમાં હાલ નાણાકીય તરલતાની અછત તથા રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેના કારણે જહાજ માલિકો માટે વ્યવહારો અને ચુકવણીમાં અનિશ્ચિતતા ઉભી થાય છે. તેની સામે ભારતમાં સ્થિર નીતિઓ, સુવ્યવસ્થિત બેંકિંગ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થતું હોવાને કારણે જહાજ માલિકો માટે અલંગ વધુ વિશ્વસનીય ગંતવ્ય બની રહ્યું છે. જહાજ માલિકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમનું જહાજ સુરક્ષિત રીતે અંતિમ સ્થળે પહોંચે અને તેમની નાણાકીય પ્રક્રિયાઓ અટકે નહીં. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા શિપિંગ ઉદ્યોગના નિષ્ણાંતો માને છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાની સકારાત્મક અસર નજીકના સમયમાં અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર જોવા મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટયુધ્ધના કારણે અલંગ ઉદ્યોગને ગતિ મળી શકેજો હાલમાં ચાલી રહેલા ઈરાક અને અમેરીકા વચ્ચેના યુધ્ધમાં નુકસાન પામેલા જહાજો અલંગમાં રિસાયક્લિંગ માટે આવે તો સ્થાનિક ઉદ્યોગને નવી ગતિ મળશે. સ્ટીલ સ્ક્રેપનું ઉત્પાદન વધશે, હજારો મજૂરોને રોજગાર મળશે અને અલંગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી મંદીને રાહત મળી શકે છે. હાલ યુદ્ધમાં અનેક જહાજોને નુકશાન થઈ રહ્યું છે. - આશિત પરિખ, મરિન નિષ્ણાંત
સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:સરકારને અંગ્રેજીનું વળગણ, માતૃભાષાનો છોછ
એક તરફ સરકાર અંગ્રેજી તરફની આંધળી દોડમાંથી લોકોને બહાર કાઢવા શિક્ષણ અને સરકારી કામકાજમાં માતૃભાષા ગુજરાતીના ઉપયોગ પર ભાર મૂકી તેની માટેના કાયદાઓ પણ બનાવ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં મહેસૂલી અધિકારી કર્મચારીઓને અંગ્રેજી તાલીમ આપી રહ્યા છે. અંગ્રેજી તાલીમ પણ અધિકારી કર્મચારીઓની ઈચ્છા મુજબ નહીં પરંતુ ફરજિયાત 80 કલાક ટ્રેનિંગ લેવાની રહેશે. માતૃભાષાનો આગ્રહ સરકાર કાગળ પર કરી રહી છે, અને સરકારનું જ અંગ્રેજી પાછળના વળગણનો ચુસ્તપણે અમલ પણ શરૂ કરી દીધો છે. ગુજરાત રાજ્યની રચના થયા બાદ, રાજ્ય સરકારે પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરી રાજ્યની રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું છે. પરિપત્રો દ્વારા સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે સૂચનાઓ પણ આપતા હોય છે. ધ ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટમાં પણ ગુજરાતી ભાષાના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને નવી શિક્ષણ પદ્ધતિમાં પણ ગુજરાતી વિષય ફરજિયાત કરાવ્યો છે. સરકાર ગુજરાતી ભાષાની ઉપયોગીતા વધારવા માટે નીતિ નિયમો અને કાયદાઓ ઘડે છે પરંતુ તેના અમલીકરણને ચુસ્ત બનાવવાને બદલે શુષ્ક થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા SCOPE મારફત મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ માટે ઇંગ્લીશ એક્સેલેન્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જેમાં ભાવનગર સહિત રાજ્યભરના મહેસુલ વિભાગના કર્મચારીઓએ પ્રિ ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ તેમજ 80 કલાકની ટ્રેનિંગ ફરજિયાત કરવા હુકમ કર્યો છે. અને તેની ફી પ્રતિ કર્મચારી દીઠ રૂ.6,450 નોન રિફન્ડેબલ રાખવામાં આવી છે. જે લાખો રૂપિયા સરકાર ચૂકવશે. સરકારી અધિકારી કર્મચારીઓને અંગ્રેજીની તાલીમ અપાવવા માટે લાખો રૂપિયાનું આંધણ કરશે, પરંતુ ગુજરાતી ભાષાના જ્ઞાન અને વપરાશ વધારવા માટે કોઈ પ્રયાસ કરાતો નથી. ચૂંટણી, વસ્તી ગણતરી, ખાતાકીય પરીક્ષા વચ્ચે હવે અંગ્રેજી તાલીમમહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે 80 કલાક ફરજિયાત તાલીમનું આયોજન કર્યું છે. જે તાલીમ ઓફિસ સમય પહેલા અથવા પછી બબ્બે કલાક આપવામાં આવી રહી છે. આગામી ચૂંટણી અને વસ્તી ગણતરીની કામગીરીનો બોજ કર્મચારીઓ પર છે ત્યારે અંગ્રેજી તાલીમ માટે 80 કલાકની હાજરી આપવા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. નેશનલ એજ્યુકેશન પોલીસીમાં પણ ફરજિયાત માતૃભાષાઅંગ્રેજી પાછળની આંધળી દોડમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા પણ નવી શિક્ષણ પદ્ધતિમાં માતૃભાષા પર ભાર મૂકી ધોરણ એક થી આઠમાં ફરજિયાત ગુજરાતી વિષયનો સમાવેશ કરવા 2023થી કાયદાની જોગવાઈ મુજબ અમલ કર્યો છે. અને જો તેમ ન થાય તો બે લાખ સુધીના દંડની પણ જોગવાઈ છે. સરકારના પરિપત્ર મુજબ અંગ્રેજી તાલીમ આપવામાં આવે છેસરકારના પરિપત્ર મુજબ SCOPE દ્વારા તમામ કચેરીના કર્મચારીઓ અધિકારીઓને અંગ્રેજી શ્રેષ્ઠતા તાલીમ આપવામાં આવી રહી છે. જુદી જુદી કચેરીઓના તબક્કાવાર આયોજન થઈ રહ્યા છે. કર્મચારીની ફી સરકારની ગ્રાન્ટમાંથી ચૂકવાશે. > એન.ડી.ગોવાણી, નિવાસી અધિક કલેકટર ભાવનગર જિલ્લાના 368 કર્મચારીઓ અંગ્રેજીની તાલીમ લેશેSCOPEના અંગ્રેજી તાલીમ અંતર્ગત ભાવનગર જિલ્લાના 368 અધિકારી કર્મચારીઓ 80 કલાકની ટ્રેનિંગ લેશે. નાયબ કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસુલી તલાટી ભાવનગર શહેર ઉપરાંત સિહોર, તળાજા મહુવા અને પાલીતાણા ખાતે અંગ્રેજીની તાલીમ મેળવશે. શું છે ગુજરાત ઓફિસિયલ લેંગ્વેજ એક્ટ?ગુજરાત ઓફિસિયલ લેંગ્વેજ એક્ટ 1960ની કલમ 2 માં પણ સ્પષ્ટ રીતે ગુજરાતી ભાષાના વપરાશ માટે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે, રાજ્ય સરકાર સમયાંતરે સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા સ્પષ્ટ કરેલા હેતુઓ સિવાય ઉપયોગ કરાશે. પરંતુ રાજ્ય સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા જાહેર કરી શકે છે કે, હિન્દીનો ઉપયોગ ફક્ત એવા સત્તાવાર હેતુઓ માટે જ કરવામાં આવશે જે સૂચના દ્વારા સ્પષ્ટ કરવામાં આવે.
સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પોલીસ વડા:સુરત ડાયમંડ બુર્સની રાજ્યના પોલીસ વડાએ મુલાકાત લીધી
સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિઓ વચ્ચે રાજ્યના પોલીસ વડાએ મુલાકાત બાદ બેઠક યોજા હતી સુરત ડાયમંડ બુર્સમાં વેપારને વેગ મળી રહ્યો છે. દરરોજ નવી ઓફિસો વેપારી મિત્રો SDB શરુ કરી થઈ રહી છે, રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. કે. લક્ષ્મીનારાયણ રાવએ તેમની ટીમ સાથે ખજોદ ડ્રીમ સિટી ખાતે આવેલ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ડાયમંડ બુર્સના બિલ્ડિંગનું અવલોકન કરી ડાયમંડ ટ્રેડરો, વેપારીઓ, બ્રોકર મિત્રો અને આંગડિયા પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી હતી. તેમની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. મિટિંગ દરમિયાન સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિ, વેપારીઓની વધતી અવરજવર તથા સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
સમૂહ વિવાહ સમારોહ યોજાયો:ગોડાદરામાં દ્વિતીય સમુહ વિવાહ સમારોહ યોજાયો, 51 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિ દ્વારા દ્વિતીય સમુહ વિવાહ સમારોહનુ આયોજન 14 માર્ચ શનિવાર સાંજે મહર્ષિ આસ્તિક વિદ્યાલય ગોડાદરા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સવારે 9:30 કલાકે મંડપ પ્રવેશ અને 10:30 કલાકે લગ્નનો પ્રારંભ થયો હતો. સમૂહ વિવાહ સમારોહ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલલે કન્યાઓને સુભાષિશ આપવાની સાથે આવતા વર્ષે 14 માર્ચ 2027ના રોજ થનાર ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું. ઉદ્ઘાટન કર્યું હતું. માથે દેવું કરીને વિવાહ કરવા પડે નહીં તે માટે સુરતમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના મધ્યમ વર્ગીય પરિવારોની દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાય તે માટે ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિના અગ્રણી અમરસિંહ રાજપુત, અમિત સિંહ રાજપુત, વિજય પ્રકાશ રાજપુત, અનુજ રાજપુત, ધર્માત્મા ત્રિપાઠી, કપિસ રાજપુત, અનુપ રાજપુત, ગીરીશ શ્રીવાત્સવ,રાજુ પાસવાન અને રાહુલ તિવારી સહિતના આગેવાનોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે 35 જેટલી ચીજ વસ્તુઓ ભેટમાં અપાઇ હતી. અતિથિ વિશેષ સંત વિજયનંદપુરીજી મહારાજ પંચાવતી મહાનિર્વાણી અખાડા દક્ષિણામૂર્તિ શનિ હનુમાન મંદિરના આશીર્વાદ અને ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને કિશોર બિન્દલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
એરપોર્ટ રોડ પર ‘રાજઘરાના લોન્સ’ ખાતે યશવી ફાઉન્ડેશન ટ્રસ્ટનો તૃતીય સમૂહલગ્નોત્સવ શનિવારે સંપન્ન થયો હતો, જેમાં જરૂરિયાતમંદ અને પિતાવિહોણી 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ સમારોહમાં પિતાની છત્રછાયા ગુમાવનારને પ્રાથમિકતા અપાઈ હતી. હવે તમામ દીકરીઓને સર્વાઈકલ કેન્સર વિરોધી રસી પણ અપાશે. આ સમૂહલગ્નમાં 4,000થી વધુ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ગીરની અનાથ દીકરીનું કન્યાદાનનું સપનું સાકારઆ સમૂહલગ્નમાં ગીર-સોમનાથની એક અનાથ દીકરીએ પણ ફોર્મ ભર્યું હતું. પરિવારમાં 3 દીકરી જ હતી, જે પૈકી વચલી બહેને ફોર્મ ભર્યું હતું. માતા-પિતાના અવસાન પછી તેને ચિંતા હતી કે મારું કન્યાદાન કોણ કરશે? તેણે યશ્વી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરિયાને રિક્વેસ્ટ કરતાં તેનો પણ સમાવેશ કરાયો હતો.
સ્કિલ સેન્ટર:હવેથી સ્કૂલોમાં જ અપાશે કૃષિથી લઇ ITI સુધીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ
ગુજરાત બોર્ડ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની અંદાજિત 5700 ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 થી સેલ્ફ ફાઇનાન્સ ધોરણે વોકેશનલ એજ્યુકેશન શરૂ કરાશે.. શિક્ષણ બોર્ડ દ્વારા એગ્રીકલ્ચર, એપરેલ મેડઅપ્સ, ઓટોમોટિવ, વેલનેસ, બેન્કિંગ, ઈલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, IT-ITes, મીડિયા, પ્લમ્બિંગ, રીટેલ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, ટેલિકોમ, સ્પોર્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ અને કન્સ્ટ્રક્શન.સહિત કુલ 16 સેક્ટર્સની યાદી જાહેરકરાઇ છે. આ અભ્યાસક્રમો શરૂ કરવા માંગતી ખાનગી સ્કૂલોએ 20 એપ્રિલ સુધીમાં અરજી કરી DEO કક્ષાએથી મંજૂરી મેળવવાની રહેશે. આ રહેશે વોકેશનલ શિક્ષણનું માળખું લેબ અને ક્વોલિફાઇડ ટ્રેનર્સની વ્યવસ્થા કરવી પડશેસ્કૂલોએ જાતે કરવું પડશે લેબ સેટઅપ અને ટ્રેનર્સની નિમણૂક, બોર્ડની માર્ગદર્શિકા મુજબ વોકેશનલ વિષય શરૂ કરનાર સ્કૂલે પોતાના પરિસરમાં અલગ પ્રયોગશાળા બનાવવી પડશે, જેમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. આ ઉપરાંત, સ્કૂલોએ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) ના ધોરણો મુજબ લાયકાત ધરાવતા વોકેશનલ ટ્રેનર્સની નિમણૂક કરવાની રહેશે. આ ટ્રેનર્સનું મહેનતાણું પણ સ્કૂલ સંચાલકોએ જ ભોગવવાનું રહેશે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનર્સની વિગતોની ચકાસણી DEO દ્વારા સ્થળ તપાસ (Site Inspection) કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ટેક્નિકલ કૌશલ્યના માર્ગો ખુલશે
નોકરી ન્યુઝ:રેલવેમાં એપ્રેન્ટિસની 2801 જગ્યા ભરાશે, માસિક 8 હજાર સ્ટાઈપેન્ડ
દ. મધ્ય રેલવે દ્વારા ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરાઇ છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) દ્વારા વિવિધ ટ્રેડમાં કુલ 2801 એક્ટ એપ્રેન્ટિસ પદો પર નિમણૂક કરાશે. આ તાલીમ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ એક્ટ મુજબ દર મહિને અંદાજે 7,000 થી 8,050 સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. રેલવેમાં અનુભવ મેળવવા ઈચ્છતા ITI યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. મેરિટના આધારે પસંદગી આ રીતે અરજી કરી શકાશેરેલવેની વેબસાઈટ scr.indianrailways.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
દિલ્હીગેટ ક્રિસ્ટલ હોટેલની સામે ટાઈગર શોપ નામના રેડીમેડ ગારમેન્ટના શોરૂમમાં બીજા માળે ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા 3 ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. બીજા માળે કાપડનો મોટો જથ્થો સ્ટોક કરાયો હોવાથી આગના કારણે તેમા ભારે નુકશાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. એસીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. પંડોળમાં કારખાનામાં આગથી મશીન ખાખવેડરોડ પંડોળ દાસકાકા ફરસાણની ગલીમાં રહેમત નગરમાં એક લૂમ્સના કારખાનામાં શુક્રવારે મોડી રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ કારખાનામાં કામ કરતા કારીગરોએ મશીન માં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈને ઈજા કે થઈ ન હતી.

31 C