અમદાવાદના એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવી ભારે પડી છે. સેટેલાઇટ વિસ્તારમાં IT કંપની ધરાવતા એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવા માટે ગયા હતા. જે દરમિયાન વેપારી સાથે રાજસ્થાનમાં 6.90 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જમીનના અસલી વારસદારોની વિગતો છુપાવી ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. જે બાદ વેપારીને ખોટા દસ્તાવેજો બતાવીને વિશ્વાસ જીતી છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ મોજે-અણેવા ગામની જમીન વેચવાની દરખાસ્ત મૂકી હતીઅમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય બલરામભાઈ ભરતભાઈ પઢીયારની સેટેલાઇટમાં IT કંપની આવેલી છે. બલરામભાઈને એક પ્રોજેક્ટ માટે રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી તાલુકામાં જમીનની જરૂર હતી. જેથી તેમનો સંપર્ક ગણપતસિંહ ભોપાલસિંહ રાજપૂત અને પ્રધ્યુમનસિંહ શક્તાવત સાથે થયો હતો. જે બાદ આ તમામ લોકોએ મોજે-અણેવા ગામની કુલ 18,400 હેક્ટર જમીન વેચવાની દરખાસ્ત મૂકી હતી. તેમજ આ તમામ લોકોએ વેપારીને ખાતરી આપી હતી કે જમીનમાં કોઈપણ પ્રકારનો વિવાદ નથી અને તમામ ડોક્યુમેન્ટ પણ બરાબર છે. વારદારોની વિગતો છુપાવી ખોટા દસ્તાવેજો ઉભા કર્યાજેથી વેપારીએ 6.90 લાખમાં સોદો નક્કી કરી 1.50 લાખ રોકડા અને બાકીની રકમ RTGS મારફતે મોકલી આપ્યા હતા. વર્ષ 2024માં જમીનનો દસ્તાવેજ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ સપ્ટેમ્બર 2025માં જ્યારે વેપારીને એક લીગલ નોટિસ મળી હતી. ત્યારે સામે આવ્યું હતું કે જમીનના અસલી વારસદાર ઓગડરામ અને તેમના પરિવારનું નામ છુપાવવામાં આવ્યું હતું. તેમજ ઓગડરામના વારસદારોએ પહેલેથી જ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ જમીન અંગે દાવો દાખલ કરેલો હતો. જે બાદ પણ આરોપીઓએ સમગ્ર હકીકત છુપાવી ખોટા સોગંદનામા અને દસ્તાવેજો ઊભા કરી બલરામભાઈને જમીન પધરાવી દીધી હતી. સેટેલાઇટ પોલીસમાં 9 લોકો સામે ફરિયાદ નોંધાઈબલરામભાઈ પઢિયારને સમગ્ર હકીકતની જાણ થતા વધુ તપાસ કરાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે જમીનના અસલી વારદારોને વિગતો છુપાવી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા. જે બતાવી 6.90 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગણપતસિંહ રાજપૂત, પ્રદ્યુમનસિંહ શકતાવત, વિરમસિંહ રાજપુરોહિત સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા એલિમ્કો કાનપુર સંસ્થાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ સહિત ચાર તાલુકાના જરૂરિયાતમંદ બાળકોને સાધન-સહાય પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા અંદાજે 115 દિવ્યાંગ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. અગાઉ સંસ્થાના નિષ્ણાતો દ્વારા આ બાળકોનું મૂલ્યાંકન કરાયું હતું. આ મૂલ્યાંકનના આધારે વ્હીલચેર, કેલિપર્સ, સીપી ચેર, બગલઘોડી અને ડિજિટલ હિયરિંગ મશીન જેવા સાધનોનું વિતરણ કરાયું. એમ.આર. ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. આ સાધન સહાય કેમ્પનું આયોજન જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ એ. વાઘેલા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝાના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર સુરેશ શ્રીમાળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી. કો-ઓર્ડીનેટર નરેશ બદ્રેશિયા અને તેમની સ્પે. એજ્યુકેટર તથા વિશિષ્ટ શિક્ષકોની ટીમે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સરકારી સહાય ઉપરાંત સામાજિક સેવાનો પણ સમન્વય જોવા મળ્યો. દાતા કશ્યપ જગદીશચંદ્ર આચાર્ય અને તેમના પરિવારે કેમ્પમાં હાજર તમામ દિવ્યાંગ બાળકોને પાણીની બોટલ, ચિક્કીનું બોક્સ, બિસ્કીટ, ચોકલેટ અને કેક જેવી ભેટ આપી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને જીવનશૈલીમાં સુધારો લાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો.
નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના પરિવાર મિત્રો અને સ્નેહીજનો સાથે આવતા હોય છે. ત્યારે ભાવનગરના એક યાત્રિકનું ગિરનાર સીડીના ₹2500 પગથિયેથી પડી જતા મોત નીપજતાં ચકચાર મચી છે. અમદાવાદના એક આધેડનું ખીણમાં ખાબકતા મોત જૂનાગઢના ગિરનાર પર્વત પર ઉતરતી વખતે પગ લપસી જતાં અમદાવાદના એક આધેડનું ખીણમાં ખાબકતા મોત નિપજ્યું છે. 31 ડિસેમ્બરની સવારે બનેલી આ ઘટનામાં ડોલીવાળાઓએ ભારે જહેમત બાદ આધેડને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. મૂળ ભાવનગરના જેસરના અને હાલ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ અમૂલભાઈ દોશી ગત 31 ડિસેમ્બરના રોજ ગિરનાર પર્વતની યાત્રાએ આવ્યા હતા. સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ પર્વતના 2500 પગથિયાં પાસે પહોંચ્યા હતા.ત્યારે અચાનક સંતુલન બગડતા તેઓ સીધા ઊંડી ખીણમાં ખાબક્યા હતા. ડોલીવાળાઓએ રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢ્યોઘટનાને પગલે આસપાસના યાત્રિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યાં હાજર ડોલીવાળાઓ તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા અને ખીણમાં ઉતરી આશિષભાઈને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ડોલી મારફતે નીચે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ વધુ હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં શોકનું મોજું, પોલીસ તપાસ શરૂમૃતક આશિષભાઈ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં શારદા શાળા પાસે રહેતા હતા. આ અકસ્માત અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત BNSS 194 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના માતા રસીલાબેન અમૂલભાઈ દોશીએ આ અંગેની જાણકારી પોલીસને આપી હતી. વર્ષના અંતિમ દિવસે બનેલી આ ઘટનાથી પરિવાર અને જેસર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. યાત્રિકો માટે સાવચેતીની ચેતવણીગિરનાર પર્વત પર અનેક જગ્યાએ સીડીઓ સાંકડી અને ઢોળાવવાળી છે. વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા યાત્રિકોને વારંવાર સૂચના આપવામાં આવે છે કે પર્વત પર ચડતી કે ઉતરતી વખતે લપસણી જગ્યાએ બેસવાનું કે સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને થાક લાગે ત્યારે સુરક્ષિત જગ્યાએ જ આરામ કરવો હિતાવહ છે.હાલ ભવનાથ પોલીસે મૃતદેહનું પીએમ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને બનાવના સ્થળે જઈ વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો6 યુવાન પગથિયાં છોડી શોર્ટકટથી ગિરનાર ચઢ્યા:પહાડ પર જોખમી ટ્રેકિંગ કરી જીવ જોખમમાં મૂક્યો, વન વિભાગે 10 હજારનો દંડ ફટકાર્યોગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ઘેલછાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જેમાં 6 યુવાન સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. આ જોખમ કૃત્ય કરનાર કોઈનો પણ પગ લપસ્યો હોત તો મોત મળત.(વાંચો સંપૂર્ણ સમાચાર)
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે સરકારી આરોગ્ય સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એક 'રોલ મોડેલ' બનીને ઉભર્યું છે. 'દર્દી સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્રને વરેલા આ કેન્દ્રે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને પાછળ છોડીને સૌથી વધુ ઓ.પી.ડી.29,000 કરતા વધુ, સૌથી વધુ આઈ.પી.ડી. 4700 કરતા વધુ અને સૌથી વધુ લેબટેસ્ટ અંદાજીત 37000 જેટલા લેબ ટેસ્ટ કરવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ડો. રાકેશ ખીમાણી અને ડો. ધવલકુમાર દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડની ટીમ “દર્દી દેવો ભવ:” ની ભાવનાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આથી વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માત્ર સારવાર જ નહીં, પરંતુ આધુનિક ડિજિટલ સુવિધાઓમાં પણ અગ્રેસર છે. નવતર પહેલના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ડિજિટલ ફીડબેક સિસ્ટમનું અમલીકરણ થતાં પેપરલેસ અભિગમ અપનાવી દર્દીઓ, સ્ટાફ અને આશા બહેનો માટે ડિજિટલ સંતોષ સર્વે શરૂ કરાયો છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોએ ડિજિટલ માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા છે. પારદર્શક વહીવટ અંતર્ગત આવશ્યક દવાઓની યાદી (EDL), ડિજિટલ લાયબ્રેરી, ડિજિટલ વિઝિટ બુક અને ફરિયાદ નિવારણ પ્રણાલી સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં કાર્યરત છે. સરકારી માર્ગદર્શિકા મુજબ થતા લેબટેસ્ટના રિપોર્ટ દર્દીઓને A4 સાઈઝના પેપર પર પ્રોપર ફોર્મેટમાં આપવામાં આવે છે જે ખાનગી લેબોરેટરી જેવી ગુણવત્તાનો અહેસાસ કરાવે છે. પર્યાવરણ પ્રેમી ‘ગ્રીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજબ આરોગ્ય કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાળવણી માટે લેવાયેલા પગલાં અનન્ય છે. હોસ્પિટલની અંદરના ભાગમાં અને વોશરૂમ્સમાં પણ ખાસ ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવીને ઓક્સિજન યુક્ત શુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સૌર ઊર્જા અને જળ સંચય અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણપણે સોલર પેનલથી સજ્જ છે. સાથે જ ભૂગર્ભ જળના સ્તર વધારવા માટે વોટર હાર્વેસ્ટિંગની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. વેઈટિંગ એરિયામાં દર્દીઓ માટે ડિજિટલ માહિતી અને આરોગ્ય શિક્ષણની સુવિધા માટે સ્ક્રીન લગાવવામાં આવી છે. જેનાથી સારવારની રાહ જોતા દર્દીઓ આરોગ્યલક્ષી જાગૃતિ મેળવી શકે. આ તમામ નવીન પ્રયોગોને કારણે વાળુકડ પી.એચ.સી. એ દર્દીઓના સંતોષના સ્તરમાં ધરખમ વધારો કર્યો છે. આમ, વાળુકડ પી.એચ.સી. એ સાબિત કર્યું છે કે જો દ્રઢ સંકલ્પ અને આધુનિક અભિગમ હોય તો સરકારી સંસ્થા પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.
નવસારીના ગાંધી ફાટક પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે દિવસીય રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીના આશીર્વાદ સાથે આ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રી-પ્રાઇમરીથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતગમત મહોત્સવનો પ્રારંભ ભવ્ય પરેડથી થયો હતો. પરેડ બાદ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયા, આચાર્ય હિરેન ઉપાધ્યાય, ઉપાચાર્ય ભાવનાબેન નાયક અને કો-ઓર્ડીનેટર પાયલબેન, આશાબેન, મનમિતબેન, જીનલબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયાએ વિદ્યાર્થીઓને જીવનમાં રમતગમતના મહત્વ વિશે સમજાવ્યું હતું. આચાર્ય હિરેન ઉપાધ્યાયે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ મશાલ પ્રગટાવીને રમતગમત મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં બલૂન સ્મેશ, બોલ બેલેન્સિંગ, રોલિંગ રેસ, લેમન એન્ડ સ્પૂન, ફ્રોગ રેસ, મ્યુઝિકલ ચેર, બુક બેલેન્સ, પોટેટો રેસ, થ્રી લેગ રેસ, આર્ચીંગ ધ ગેમ, સ્લો સાયક્લિંગ, પેર બોલ બેલેન્સિંગ, સુઈ ધાગા, ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ, ચેસ અને કેરમ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાના વિશાળ પટાંગણમાં યોજાયો હતો, જ્યાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નોબેલ્સ ઓન વ્હીલ્સ પ્રદર્શનનો 30,000 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રદર્શન 11 થી 29 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાયું હતું, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા કેળવવાનો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મોબાઈલ એક્ઝિબિશન ટ્રક જિલ્લાના 15 વિવિધ ઝોનમાં ફર્યો હતો. તેના દ્વારા વિદ્યાર્થીઓને નોબેલ વિજેતાઓની સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક શોધો વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રદર્શનનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને ચિકિત્સાવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં થયેલી વિશ્વસ્તરીય શોધોથી માહિતગાર કરવાનો હતો. તેમાં વૈશ્વિક નોબેલ વિજેતાઓ ઉપરાંત ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે તે માટે મોબાઈલ એક્ઝિબિશનનો આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જે તેની વિશેષતા હતી. આ પહેલના ભાગરૂપે, વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. પ્રદર્શન બાદ યોજાયેલી પસંદગી પ્રક્રિયા દ્વારા બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ (એક છોકરો અને એક છોકરી) અને એક શિક્ષકની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા આ વિદ્યાર્થીઓ અને શિક્ષકને સ્વીડન સ્થિત નોબેલ પ્રાઈઝ મ્યુઝિયમની મુલાકાત લેવાની તક મળશે. પ્રથમ તબક્કામાં 24,100 વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી, જેમાંથી 1,143 વિદ્યાર્થીઓને બીજા તબક્કા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શને વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નવો ઉત્સાહ જગાવ્યો છે. ફ્યુચર નોબેલ ઝોન જેવા આકર્ષણો દ્વારા વિદ્યાર્થીઓએ ભવિષ્યની વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે રચનાત્મક વિચારો રજૂ કર્યા હતા. આ પ્રદર્શન બનાસકાંઠાના યુવાધનને વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રેરણા આપવા માટે સફળ રહ્યું છે.
આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા માટે મહેસૂલ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેટેશન નિહાળ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસને વેગ આપતા માળખાકીય કાર્યોમાં ઝડપ લાવવા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રી મહીડાએ જિલ્લામાં હાથ ધરાયેલા વિવિધ યોજનાકીય અને માળખાકીય કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મહેસૂલી કેસોના નિકાલને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, રી-સર્વેની અરજીઓનો પણ સત્વરે નિકાલ લાવવા તેમણે જણાવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમણે ચાલુ નાણાકીય વર્ષના કામો ઝડપભેર પૂર્ણ થાય અને કોઈ પણ ગ્રાન્ટ વણવપરાયેલી ન રહે તેની તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સીએમ ડેશબોર્ડ અંતર્ગતની કામગીરી, તેના પેરામીટર્સ અને થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે લેન્ડ ગ્રેબિંગ, મહેસૂલી કેસો, રી-સર્વેની કામગીરી, એસ.આઈ.આર.ની કામગીરી, જમીન ફાળવણી અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા નવતર અભિગમો વિશે પ્રભારી મંત્રીને વાકેફ કર્યા હતા. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની કામગીરી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. આ તકે યોજનાકીય કામો, ફ્લેગશિપ કાર્યક્રમો અને માળખાકીય કામો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ધારાસભ્યો અને અગ્રણી સંજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લામાં ચાલતા કામો અને સર્વાંગી વિકાસ માટે જરૂરી કાર્યો અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
દાહોદ શહેરમાં મિત્રતાને કલંકિત કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદથી સુથારી કામ અર્થે આવેલા એક યુવકને તેના જ ત્રણ મિત્રોએ વિશ્વાસમાં લઈ ગોંધી રાખ્યો હતો. અમદાવાદથી કામ ગયેલા યુવક પર અમાનવીય અત્યાચાર ગુજારી, તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે લોકેશનના આધારે ત્વરિત કાર્યવાહી કરી યુવકને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પીડિતને સુરક્ષિત બચાવી લીધોઘટના અંગે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, પોલીસને મળેલી માહિતીના આધારે ટેક્નિકલ એનાલિસિસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતને ગોંધી રાખી માર માર્યો હોવાનું અને પરિવાર પાસે વીડિયો કોલ મારફતે ખંડણી માગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી પીડિતને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુથારી કામ પુરું કરી અમદાવાદ જવાનો હતોપીડિત શ્યામલાલ રાવે જણાવ્યું હતું કે, તે કામની શોધમાં રાજસ્થાનથી દાહોદ આવ્યો હતો અને અહીં સુથારી તરીકે કામ કરતો હતો. આ દરમિયાન શંકર સાંસી સાથે તેની મિત્રતા થઈ હતી અને પૈસાની લેતી-દેતી પણ થતી હતી. કામ પૂરું થતાં તે અમદાવાદ જવાની તૈયારીમાં હતો, ત્યારે કામ અપાવવાની વાત કહી તેને દાહોદમાં રોકવામાં આવ્યો હતો. બાદમાં બસ સ્ટેશનથી પરત બોલાવી આરોપીઓએ તેને મકાનમાં લઈ જઈ ગોંધી રાખી માર માર્યો અને પરિવાર પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરી. પરિવારને લાઈવ લોકેશન મોકલતાં જ પોલીસ આવી પહોંચતાં તેનો જીવ બચી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. વિશ્વાસઘાત અને અત્યાચારની પરાકાષ્ઠામૂળ રાજસ્થાનનો રહેવાસી શ્યામલાલ રાવ દાહોદમાં સુથારી કામ કરી ગુજરાન ચલાવતો હતો. થોડા સમય અગાઉ તેની મુલાકાત શહેરના 3 યુવકો સાથે થઈ હતી. મિત્રતા ગાઢ બનતા તેઓ અવારનવાર સાથે ફરવા જતાં હતા. ગત 1 તારીખે આ ત્રણેય શ્યામલાલને છાપરી ગામ પાસે એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કરી શ્યામલાલને બંધક બનાવી દીધો હતો. આરોપીઓએ યુવકને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો અને શરીરના ભાગે સિગરેટના ડામ આપી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પરિવારને વીડિયો કોલ કરી આપી ધમકીઅત્યાચાર આટલેથી ન અટકતા, આરોપીઓએ શ્યામલાલના મોબાઈલ પરથી તેના પરિવારને વીડિયો કોલ કર્યો હતો. લાઈવ વીડિયોમાં યુવકને માર મારતા બતાવી આરોપીઓએ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં મળે તો યુવકની હત્યા કરી તેની લાશ તળાવમાં ફેંકી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. લોકેશન મળતાં જ પોલીસ એક્શનમાંઆ કપરી પરિસ્થિતિમાં શ્યામલાલે હિંમત દાખવી ખાનગીમાં પોતાનું લાઈવ લોકેશન પરિવારને મોકલી આપ્યું હતું. પરિવારે તાત્કાલિક દાહોદ B-ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને મળેલા લોકેશનના આધારે પોલીસે છાપરી ગામના મકાનમાં દરોડો પાડી યુવકને હેમખેમ છોડાવ્યો હતો. આરોપીઓ જેલના સળિયા પાછળપોલીસે સ્થળ પરથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ અપહરણ, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત શ્યામલાલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ ન રાખવા માટે લાલબત્તી ધરી છે.
સુરતમાં સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા 3 ડિસેમ્બર 2026ના રોજ 'રાજસ્વી સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ સન્માન સમારોહ વિવાદોના વમળમાં ફસાયો છે. 2 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રજની વાઘાણીએ આ કાર્યક્રમના બેનરો જાહેરમાં ફાડી નાખીને આયોજકો અને ભાજપ સામે સીધો જંગ છેડ્યો છે. આ ઘટનાને પગલે પાટીદાર બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. AAP દ્વારા માગ કરી કે જો સન્માન કરવું જ હોય તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને અન્ય પક્ષના પાટીદાર નેતાઓનું પણ સન્માન થવું જોઈએ. શું છે સમગ્ર મામલો?સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા 3 ડિસેમ્બરના રોજ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સી આર પાટીલ પણ હાજર રહેવાના છે. આ સન્માન સમારોહમાં મંત્રી જીતુ વાઘાણી, પ્રફુલ પાનસેરીયા, કૌશિક વેકરીયા અને કમલેશ પટેલનું સન્માન કરવામાં આવનાર છે. આ સાથે ગુજરાત પ્રદેશ ભાજપમાં સ્થાન મેળવનાર નેતાઓ પણ હાજર રહેશે. લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આ કાર્યક્રમના પ્રચાર માટે શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીના હોદ્દેદાર રજની વાઘાણીએ રસ્તા પર ઉતરી કટર વડે આ બેનરો ફાડી નાખ્યા હતા. આશ્ચર્યજનક રીતે, તેમણે બેનરમાંથી સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો અને 'લેઉવા પાટીદાર' લખેલું લખાણ પણ કટરથી કાપી નાખ્યું હતું. સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી અને પડકારબેનર ફાડ્યા બાદ રજની વાઘાણીએ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ કરીને આયોજકોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે કે, જેટલી બાઉન્ડ્રી વોલ મારવી હોય તે મારી રાખજો, ખુરશીઓ બાંધી રાખજો, જમવાની ડીશ પણ રાખતા નહીં, બાકી સામી છાતીએ વિરોધ થશે. 'ભાજપ પાટીદાર સમાજના નામે રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યું'રજની વાઘાણીએ આ વિરોધ પાછળના કારણો સ્પષ્ટ કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો આ પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય તો તેમાં માત્ર ભાજપના જ નેતાઓનું સન્માન કેમ કરવામાં આવે છે? વાઘાણીએ આક્ષેપ કર્યો કે ભાજપ પોતાના નામે કાર્યક્રમ કરવાની હિંમત હારી ગયું છે, એટલે હવે પાટીદાર સમાજના નામે રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યું છે. સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતા સુરતના રાજકારણમાં ગરમાવોઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ પાટીદાર સમાજમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ રજની વાઘાણીના આક્રમક તેવર ચર્ચાનો વિષય બન્યા છે, તો બીજી તરફ સરદાર પટેલની પ્રતિમાવાળા બેનરો ફાડવાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. આયોજક સમિતિ આ બાબતે આગામી સમયમાં શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ભવ્ય 'રાજસ્વી' સન્માન ને ભવ્ય 'ડ્રગસ્વી' સન્માન કહ્યુંરજની વાઘાણી (આમ આદમી પાર્ટીના નેતા) એ જણાવ્યું હતું કે, આ બોર્ડ દેખાય છે, એ ભવ્ય 'ડ્રગસ્વી' સન્માન સમારોહ છે... એટલે ભવ્ય 'રાજસ્વી' સન્માન સમારોહ. આમાં બે ક્ષતિ છે, સરદાર પટેલના ફોટોને બેનરમાંથી કટરથી કટ કરીને કાપી નાખ્યો હતો. ત્યાર બાદ આ 'લેઉવા પાટીદાર' એ શબ્દ કાઢી નાખ્યો છે. આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે, વિભૂતિ છે. એમણે આ દેશને બહુ મોટું યોગદાન આપ્યું છે. એમના ફોટા આ બેનરમાં સારા ન લાગે. જેમને ડ્રગ્સ વેચવું છે, જેમને દારૂના હપ્તા લેવા છે, જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે. પાટીદારની અંદર ભાગલા પાડવાનું કામ બંધ કરોબીજું, મારે ભાજપના લોકોને કહેવું છે કે ભાઈ, તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને? તમે કોણ 'લેઉવા' ને 'કડવા' ને અલગ કરવા વાળા? ભાઈ અમે પાટીદારો એક છીએ. પાટીદારની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો. ભાજપવાળા ભાગલા પાડવા નીકળ્યા છે. 'સમસ્ત લેઉવા પાટીદાર સમાજ, સુરત' એટલે શું કહેવા માંગો છો? ભાઈ લેઉવા-કડવા કરનારા તમે કોણ? અમે પાટીદારો એક છીએ. અમે બધા જ યુવાનો જાગૃત છીએ. સરદાર સાહેબ આવા લોકોની સાથે સારા ન લાગેબીજું કે અહીંયા જે સરદાર સાહેબનો ફોટો હતો એ મેં કાઢી લીધો છે. કારણ કે સરદાર સાહેબ આવા લોકોની સાથે સારા ન લાગે. અને અહીંયા જે પટેલોના સન્માન કરવાની વાત કરી છે, એમાં તમે જુઓ ઉપર બે વ્યક્તિઓ છે - આ જગદીશ વિશ્વકર્મા છે, આ હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ. ટોટલ છ પટેલો છે અને પાંચ પટેલો નથી. પણ પાટીદાર સમાજ તો બહુ વિશાળ હૃદયનો સમાજ છે એટલે એ તો બધાના સ્વાગત કરે એનો વાંધો નથી. સમાજના નામ હેઠળ તમે શું કામ કાર્યક્રમ કરવા નીકળ્યાવિરોધ એ વાતનો છે કે ભાજપના નામ હેઠળ તમે કોઈપણ કાર્યક્રમ કરી લો, સમાજના નામ હેઠળ તમે શું કામ કાર્યક્રમ કરવા નીકળ્યા અને કયા મોઢે તમારા સન્માન કરીએ અમે? આ પ્રફુલભાઈ, એ ત્રણ વર્ષ માટે થઈને શિક્ષણ મંત્રી હતા, અત્યારે આરોગ્ય મંત્રી છે. ત્રણ મહિના થઈ ગયા નવું મંત્રાલય મળ્યું એનું, કઈ મોટી હોસ્પિટલ ગુજરાતમાં બનાવી દીધી? ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલોના ભાવ એટલા ઉપર જાય છે, કયું નિયંત્રણ લાવ્યા? ગુજરાતની એવી દશા કરીને મૂકી દીધી, તમારા સન્માન અમારે કરવાના? પાટીદારના નામે પાટીદાર સમાજને છેતરવાની વાત કરો છો?આ કૌશિકભાઈ, પાટીદાર સમાજની દીકરીનું ભર બજારની અંદર સરઘસ કાઢી લીધું હતું. રાત્રે એ દીકરીને એના ઘરેથી ઉઠાવીને પોલીસવાળા જાણે આતંકવાદી હોય એવી રીતે ઉપાડી ગયા હતા તેદી ક્યાં ગયા હતા? આ જીતુભાઈ, એ ભાજપના પક્ષ પ્રમુખ હતા એ વખતે શું પાટીદારો ઉપર દમન ગુજાર્યો છે એ નથી જાણતા? પાટીદારના નામે પાટીદાર સમાજને છેતરવાની વાત કરો છો? સન્માન કરવા હોય તો ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયાના સન્માન કરોઆ બધી ટોળકી સરકારમાં જે બેઠેલા છે એમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘરે-ઘરે પહોંચતું કરી દીધું, કોઈ રોકટોક નથી. દારૂના હપ્તા લ્યો છો. શિક્ષણને પ્રાઇવેટ કરી નાખ્યું, ઊંચી-ઊંચી ફી થઈ ગઈ છે. હોસ્પિટલની ક્યાંય સુવિધાઓમાં કાંઈ લેવાનું નથી અને તમારા સન્માન? સન્માન કરવા હોય તો ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિના સન્માન કરવા પડે, અલ્પેશ કથીરિયા જેવાના સન્માન કરવા પડે, જેમણે સમાજની માટે ધોકા ખાધા છે. વીસ-વીસ દિવસ, બબ્બે મહિના, નવ-નવ મહિના, દસ-દસ મહિના જેલમાં રહ્યા છે અને એમને? કેમ બીજા પક્ષોની અંદર પાટીદારો નથી?જેમણે સમાજની માટે કંઈક પોતાનું યોગદાન આપ્યું છે એમને કાંઈ નહીં? અને પાંચ વ્યક્તિઓ, સામાજિક કાર્યક્રમ હોય તોય આ જ પાંચ વ્યક્તિ, ધાર્મિક કાર્યક્રમ હોય તોય આ જ પાંચ વ્યક્તિ! એટલે સમાજને મૂર્ખ બનાવવાનું ભાજપના લોકો બંધ કરે. ભાજપના નામે કાર્યક્રમ કરો અને પાંચ હજારની નહિ, પાંચ લાખ પબ્લિક ભેગી કરો અમને વાંધો નથી. પણ અમારા સમાજના નામનો શું કામ ઉપયોગ કરો છો? સમાજના નામે તમારે સન્માન કરવા છે તો કેમ ભાઈ ભાજપમાં હોય એ જ ચોક્કસ પાંચ વ્યક્તિઓ જ પાટીદાર છે? કેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પાટીદાર નથી? કેમ બીજા પક્ષોની અંદર પાટીદારો નથી? વિરોધ થશે અને વિરોધ તબિયતથી કરીશુંમારી ભાજપના લોકોને આ વીડિયો દ્વારા ચેતવણી છે. જે મોટા વરાછામાં તમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, આ જ મોટા વરાછાની અંદર ભૂતકાળમાં તમારા આકા, તમારા મોટા નેતા અમિત શાહનો પણ વિરોધ થયો હતો. તમે જે કાર્યક્રમ કરો છો એમાં તમે પ્રોટેક્શન વોલ કરી લેજો. તમે ખુરશીઓને બાંધી રાખજો. તમે જમવાની અંદર જે ડિશો રાખવાના છો એ ડિશો ન રાખતા. વિરોધ થશે અને વિરોધ તબિયતથી કરીશું, છાતી કાઢીને કરીશું. શું કામ ન કરીએ? કારણ કે સમાજની અંદર ભાગલા પડાવવાની, ફૂટ પડાવવાની કોશિશ કરો છો. ભાજપના બેનર હેઠળ કાર્યક્રમ કરી બતાવો અને સફળ કરોસમાજની અંદર પાંચ ઠેકેદારો જેણે સમાજને એવી રીતે હેરાન કરી નાખ્યો છે, કોઈ સુવિધા નથી. હોસ્પિટલની સુવિધા બધાને જોવે, શિક્ષણ બધાને સારું જોવે. ગલીએ ગલીએ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, કોઈ કહેવા વાળું નથી અને સરકારમાં બેઠેલા કોઈ માણસને આની ચિંતા નથી, તો અમારે શેના તમારા સન્માન કરવાના? તમારા સન્માન અમારે નથી કરવાના. ભાજપના બેનર હેઠળ કાર્યક્રમ કરી બતાવો અને સફળ કરો. કમલેશ પટેલ છે, તો હાર્દિક પટેલને પણ બોલાવોસમાજના નામે છેતરવાની વાત કરશો તો એ નહીં ચાલવા દઈએ અને સમાજના નામે કાર્યક્રમ કરવો હોય તો સમાજના બધા લોકોને બોલાવો. ગોપાલ ઇટાલિયાનેય બોલાવો, અલ્પેશ કથીરિયાનેય બોલાવો, સમાજમાં બહુ બધા છે. અહીંયા કમલેશ પટેલ છે, તો હાર્દિકનેય બોલાવો. સમાજના જ નામે તમારે કાર્યક્રમ કરવો હોય તો સમાજના બધા લોકોને બોલાવો. સમાજ બહુ મોટો છે. સમાજ એટલે કે પાંચ ભાજપના લોકો એટલો સમાજ નથી. એટલે સમાજના નામે ગુમરાહ કરવાનું બંધ કરો. બાકી લેઉવા પાટીદાર સમાજના નામ ઉપર જે તમે બેનર વાપર્યું છે એનો વિરોધ થશે. સમસ્ત પાટીદાર એક છે, લેઉવા-કડવાનો કોઈ ભેદ નથી અને કાર્યક્રમ તમારા ભાજપના બેનર હેઠળ કરો. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા આવા ઉંદડા દરની બહાર નીકળતા હોયપાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, એટલે આવા જે ઉંદડા છે એ દરની બહાર નીકળતા હોય છે. પરંતુ જે રીતે સમાજની અંદર એકતા, સમાજનો એક મેસેજ છે કે સમાજના ઉત્થાન માટે સામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જ્યારે આવો કાર્યક્રમ કરતા હોય, સમાજના અગ્રણીઓ જ્યારે આખા ગુજરાતની અંદર કોઈપણ સમસ્યા આવે, કોઈપણ વિટંબણા આવે... એટલે કે વ્યાજખોર હોય, કોઈ બેન-દીકરીની છેડતી કરતું હોય, કોઈનો જમીનનો કબજો કર્યો હોય, કોઈના ઉપર હુમલો કરે ત્યારે આ અગ્રણીઓ સરકાર અને સિસ્ટમની સાથે રહી અને જે પ્રમાણે મદદરૂપ થતા હોય છે. આવા બે-ચાર લુખ્ખાઓ રાજકીય લાભ ખાટવા વિરોધના સૂર ઉપાડતા હોયગામડાના છેવાડાના માનવી સુધી મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હોય, ત્યારે આ પ્રકારનો વિરોધ કરવો એ નાલાયકી છે. અને આવા લુખ્ખાઓ બે-ચાર રાજકીય લાભ ખાટવા માટે જ્યારે વિરોધના સૂર ઉપાડતા હોય, ત્યારે પાટીદાર સમાજે એક થઈ એમને જવાબ આપવો પડે. અને સમાજ એક છે ત્યારે ચોક્કસ હું જવાબ નથી આપતો પણ સમાજ એને જવાબ આપી દેશે અને 'રાજસ્વી સન્માન સમારોહ' ભવ્યથી ભવ્ય ઉજવાશે. સમાજની કોઈ ડિમાન્ડ હોય તો સરકાર પૂરી કરવા તૈયાર હોય છેસરદાર પટેલનું નામ લઈ અને જે પ્રમાણે બેનર ફાડવામાં આવ્યું છે, એનો એને અધિકાર જ નથી અને આધિપત્ય જ નથી. સરદાર પટેલ એક એવી ઊંચાઈ ઉપર બેઠેલા છે, એ દિવ્ય ચેતના છે. એમને આવા લુખ્ખાઓને એમનું નામ લેવાનો પણ અધિકાર નથી. જે પ્રમાણે રાજકીય રોટલા શેકવા માટે જે રીતે એ સમાજનો ઉપયોગ કરી અને સમાજના નામે જે ચરી ખાવાની વાત હોય... હા, ચોક્કસ સમાજની કોઈ માંગ હોય, સમાજની કોઈ ડિમાન્ડ હોય તો સરકાર પૂરી કરવા માટે તૈયાર હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઉશ્કેરવાની તૈયારી કરીગત દિવસોમાં મીડિયાના માધ્યમથી પણ પ્રચારિત થયું છે અને સોશિયલ મીડિયા અને સમાજમાં પણ પ્રચારિત થયું છે કે ગત દિવસોની અંદર જે કંઈ મુશ્કેલીઓ પડી છે, સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાની અંદર જે મુશ્કેલીઓ પડી છે, ત્યારે આયોજક ટીમ, આખી અગ્રણીઓની ટીમ જે રીતે સરકારમાં સાથે રહી અને જે મદદરૂપ થયા છે, જે પોલીસ તંત્રને તાત્કાલિક અસરકારક પગલાં લેવા માટે જે મદદરૂપ થયા છે, ત્યારે આ લુખ્ખાઓનું ચાલતું નથી. આ લોકોને સોસાયટીઓની અંદર ઘૂસવા નથી દેતા, સોસાયટીઓની અંદર આ લોકોને પ્રવેશ નથી, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઉશ્કેરવા માટેની તૈયારી કરી રહ્યા છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે(1 જાન્યુઆરી) સાંજે ખુની ખેલ ખેલાયો છે. સામાન્ય બાબતે લોહીયાળ જંગ ખેલાયો હતો. જમવા જેવી સામાન્ય બાબતે એક માસીયાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી દીધી હતી. જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશ્વાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશ્વાહા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે રામુ કુશ્વાહાનું મોત થયું હતું. જે બાદ બોપલ પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને ભાઈઓ જમવા બેઠા ને ઝઘડો થયોમધ્યપ્રદેશના મોરેનાના વતની રામુ કુશ્વાહા અને વિષ્ણુ કુશ્વાહા નામના બે ભાઈઓ બોપલ વિસ્તારમાં રહેતા હતા. બોપલ વિસ્તારમાં રહીને કલર કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા. ગઈકાલે સાંજે બંને ભાઈઓ જમવા માટે બેઠા હતા. તે દરમિયાન જમવા જેવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બે ભાઈઓ વચ્ચે જમવા જેવી નજીવી બાબતે તકરાર થતા ઉગ્ર માહોલ ઉભો થઈ ગયો હતો. છરી વડે ભાઈ રામુ કુશ્વાહા પર હુમલો કર્યોઝઘડા દરમિયાન વિષ્ણુ કુશ્વાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશ્વાહા પર હુમલો કર્યો હતો. છરી વડે હુમલો કર્યો હોવાથી રામુ કુશ્વાહાનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને આખા ઘરમાં લોહોલોહી થઈ ગયું હતું. માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરતાં ચકચારજે બાદ સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલા જ વધારે લોહી વહી જવાથી રામુ કુશ્વાહાનું મોત થયું હતું. જેમાં એક માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કરુણ અંજામ આવ્યો હતો. બોપલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોહત્યાની ઘટના બનતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને પણ ઘટનાના જાણ કરવામાં આવી હતી. જેથી હત્યાની ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિષ્ણુ કુશ્વાહા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપી વિષ્ણુ કુશ્વાહાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બારેજા ખાતે ત્રિ- દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમ:મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથીયાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીનું 'નાનીબાઈ કી માયરે કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું, ધાર્મિક લોકો જોડાયા હતા. 3 દિવસના કાર્યક્રમ અંગે ગીરીશભાઈ રાઠી - કાર્યકારી અધ્યક્ષ - મહેશ ધામ એ આપી હતી. સાથે જ પૂજ્ય દંડીસ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી, રાષ્ટ્રીય મહામંત્રી, અખિલ ભારતીય સંત સમિતિ, જનરલ સેક્રેટરી: ગંગા મહાસભા, વારાણસી ઉપસ્થિત રહ્યાં હતા. સમાજના અગ્રણીઓએ સંપૂર્ણભાવથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે. પ્રથમ દિવસે માહેશ્વરી સમાજના આશરે 5000 લોકોએ હાજરી આપી હતી. પ્રથમ દિવસ – શુક્રવાર, 2 જાન્યુઆરી 2026 : કાર્યક્રમના પ્રથમ દિવસે મહેશધામ ખાતે પવિત્ર પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસ (અતિથિ નિવાસ)નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ દિવસે પ્રખ્યાત આધ્યાત્મિક પ્રવચનકાર જયા કિશોરીના ધાર્મિક પ્રવચન દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંજે ભજન કલાકાર હર્ષ માળી સાથે ભજન સંધ્યાનું આયોજન કરાયું. દ્વિતીય દિવસ – શનિવાર, 3 જાન્યુઆરી 2026- કાર્યક્રમના બીજા દિવસે જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ સાઈરામ દવેનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ સાથે બાબા નંદલાલજીની પણ ઉપસ્થિતિ રહેશે. આ દિવસ દરમ્યાન ધાર્મિક તથા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે. આ દિવસે શિવાજી મહારાજના જીવન પર નાટ્યપ્રસ્તુતિ- ગુરુજી કી પાઠશાળાનું દ્વારા આયોજન કરાશે. તૃતીય દિવસ – રવિવાર, 4 જાન્યુઆરી 2026- ત્રીજા અને અંતિમ દિવસે મમુખ્ય અતિથિઓ દ્વારા ભામાશાઓનું સન્માન પણ કરાશે. આ અવસરે જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ જયા કિશોરીજી ફરી એકવાર પોતાના પ્રેરણાદાયક ધાર્મિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપશે. ત્રણ દિવસીય આ સમગ્ર કાર્યક્રમ મહેશધામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉદ્દેશોને વધુ મજબૂત બનાવશે. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં જોડાશે તેવી અપેક્ષા છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા IAS અધિકારીઓના વધારાના ચાર્જને લઈને મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ મહત્વના વિભાગો અને સરકારી સંસ્થાઓમાં વહીવટી સંતુલન અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ડૉ. રાજેન્દ્ર કુમારને GSFCનો વધારાનો ચાર્જસરકારના આદેશ મુજબ, ડૉ. રાજેન્દ્ર કુમાર, IAS (2004 બેચ), જે હાલ ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધી આ વધારાનો ચાર્જ સંભાળી રહેલા સંજીવ કુમાર, IASને મુક્ત કરવામાં આવ્યા છે. રાજકુમાર બેનીવાલને આ વિભાગનો વધારાનો ચાર્જતે જ રીતે, રાજકુમાર બેનીવાલ, IAS (2004 બેચ), હાલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GNFC), ભરુચના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમને હવે હાઉસિંગ અને ‘નિર્મળ ગુજરાત’ (અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ)ના સરકારના સચિવ તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. બચાણીને અમદાવાદના સિવિલ એવિએશન કમિશનરનો ચાર્જઆ ઉપરાંત કે. એલ. બચાણી, IAS (2010 બેચ), હાલ ગાંધીનગર ખાતે માહિતી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને અમદાવાદના સિવિલ એવિએશન કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પદનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા ડૉ. ધવલકુમાર કિર્તિકુમાર પટેલ, IASને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ અને સિવિલ એવિએશન વિભાગમાં નવી જવાબદારીરાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય માત્ર રુટીન વહીવટી બદલી તરીકે જોવામાં આવતો નથી, પરંતુ મહત્વના વિભાગોમાં અનુભવી અધિકારીઓની ક્ષમતાનો વધુ અસરકારક ઉપયોગ કરવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ અને સિવિલ એવિએશન જેવા વિકાસલક્ષી અને આવકજનક વિભાગોમાં મજબૂત વહીવટી પકડ જરૂરી હોય છે. અનુભવી IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈખાસ કરીને GSFC અને GNFC જેવી મોટી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાં અનુભવી IAS અધિકારીઓને જવાબદારી સોંપીને સરકાર દ્વારા પોલિસી અને અમલીકરણ વચ્ચે સંકલન મજબૂત કરવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. સિવિલ એવિએશન અને અર્બન હાઉસિંગ જેવા ક્ષેત્રો આગામી સમયમાં રાજ્યના વિકાસ એજન્ડાના કેન્દ્રમાં રહેવાના હોવાથી, આ ફેરફારોને વિકાસલક્ષી તૈયારીના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
ગોધરા રેલવે સ્ટેશન ખાતે આવેલી પાર્સલ પોસ્ટ ઓફિસમાં હવે સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી ગણતરીના કલાકો માટે ઉપલબ્ધ સુવિધાઓ હવેથી 24 કલાક મળી રહેશે, જેનાથી નાગરિકોને મોટી રાહત થશે. અગાઉ આ પોસ્ટ ઓફિસમાં પાર્સલ બુકિંગ સહિતની અન્ય સેવાઓનો સમય સાંજે 6:00 થી 8:00 વાગ્યા સુધી જ મર્યાદિત હતો. જોકે, રેલવે તંત્ર અને પોસ્ટ વિભાગના સહયોગથી આ સુવિધાને હવે 24 કલાક કાર્યરત કરી દેવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે 24 કલાક સ્પીડ પોસ્ટ કરી શકાશે. આ ઉપરાંત, ૨૫થી વધુ આર્ટિકલ કે પાર્સલ હોય તેવા બલ્ક બુકિંગ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટ ઓફિસને લગતી તમામ પાયાની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ સેવા શરૂ થવાથી ખાસ કરીને સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ફાયદો થશે, જેઓ રાત્રિના સમયે માલસામાન, ડોક્યુમેન્ટ્સ અને સેમ્પલ્સ સમયની મર્યાદા વગર મોકલી શકશે. ઈમરજન્સીમાં સ્પીડ પોસ્ટ કે પાર્સલ મોકલવા માટે નાગરિકોને હવે કચેરી ખુલવાની રાહ જોવી પડશે નહીં.
રાજ્યના પાટનગરમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિવૃત્ત ઉચ્ચ અધિકારીને પોતાની જાળમાં ફસાવીને આજીવન મૂડી પડાવી લેવાની ઘટનાને અંજામ આપ્યો છે. ગાંધીનગરના સેક્ટર-3 માં રહેતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરીના પૂર્વ ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી નકલી 'સુપ્રીમ કોર્ટ' સમક્ષ હાજર કરી સાયબર ગઠીયાઓએ 40 લાખની માતબર રકમ હડપ કરી લીધી હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકે નોંધવામાં આવી છે. 'TRAIએ તમારા પર એક કેસ કર્યો છે'ગાંધીનગરના સેક્ટર - 3સી શક્તિ ચોક પાસે પ્લોટ નંબર - 635/2માં રહેતા મોહમ્મદ અબુબક્ર મહમદઅલી ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરી ખાતે ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતાં. ગત 10 નવેમ્બર 2025ના રોજ તેમને કોઈએ ફોન કરીને TRAIમાંથી અરૂણ યાદવ બોલતો હોવાની ઓળખ આપી કહેલ કે, તમે તમારા આધાર કાર્ડ ખોટો ઉપયોગ કર્યો છે. TRAIએ તમારા પર એક કેસ કર્યો છે. જે અંગે 27 ઓક્ટોબર 2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે. સાયબર ઠગે ધમકીઓ આપતાં પૂર્વ ભૂસ્તરશાસ્ત્રી ફફડી ઉઠ્યા હતાતમારા આધાર કાર્ડ વાળા મોબાઈલ નંબરથી અલગ-અલગ વ્યકતિ ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ વાતથી પૂર્વ ભૂસ્તરશાસ્ત્રી ફફડી ઉઠ્યા હતા. બાદમાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહી અરૂણ યાદવે ફોન ડાયવર્ટ કરી ઈન્સ્પેકટર સંદીપ રાવ સાથે વાત કરાવી હતી. જેમાં પણ તેમણે પોતે નિર્દોષ હોવાના ખુલાસા કર્યાં હતા. ગોયલ મની લોન્ડરિંગ કેસમાં ખાતાનો ઉપયોગ થયાનો હાઉંજે પછી સંદીપ રાવે વીડિયો કોલ કરીને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીની પૂછતાછ કરી પરિવારની વિગતો મેળવી લીધી હતી. વીડિયો કોલ દરમ્યાન પોલીસ ડ્રેસમાં એક વ્યક્તિ અને મુંબઈ પોલીસનો લોગો જોઈને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીએ નાના દીકરા સાથે રહેતા હોવાની વાત પણ જણાવી દીધી હતી. બાદમાં નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમના બેંક ખાતાનો ઉપયોગ થયાનો હાઉ ઉભો કર્યો હતો. નિવૃતિ સેવિંગના 40 લાખની વિગત આપતાં જ ઠગે ડોક્યુમેન્ટ માંગ્યાજેથી કરીને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીએ પોતાના બેંક એકાઉન્ટમાં પડેલી રકમની સાથે નિવૃતિ સેવિંગના 40 લાખ આઇસીઆઈસીઆઈ ડીરેકટના ડિમેટ એકાઉન્ટ પડ્યા હોવાની પણ વિગતો આપી દીધી હતી. બાદમાં તેમની વાત એડીશનલ ડાયરેક્ટર કરણ શર્મા નામની વ્યક્તિ સાથે કરાવી હતી. જેણે પણ તેમની પૂછતાછ કરી હતી. બાદ નકલી ઈન્સ્પેકટર સંદીપ રાવે કોર્ટમાં રજૂ થવા માટે એફિડેવીટ લખાવી આધારા કાર્ડ, પાનકાર્ડ તથા પાસપોર્ટ સાઇજનો ફોટો સહી સાથે મેળવી લીધો હતો. I am safe, I am here, Nation secret is safeત્યારબાદ તેણે રાત્રે ફોન ચાલું રાખી સુઈ જવાનુ અને દેશની સુરક્ષાને ધ્યાને લઈ આ બાબતે કોઈને જાણ નહીં કરવાની ગર્ભિત ધમકી આપી હતી.અને જયાં સુધી સુવો તે સમય બાદ કરતા દર બે કલાકે વોટ્સએપમાં રીપોટીંગ ટુ ઇન્સ્પેકટર સંદિપ રાવ, I am safe, I am here, Nation secret is safe જેવા મેસેજ કરવા મજબૂર કર્યા હતા. વીડિયો કૉલથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતાત્યારબાદ 11 નવેમ્બર 2025ના રોજ સવારના વોટ્સએપમાં આગળની વધુ તપાસ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થવા માટે તૈયાર રહેવા મેસેજ આવ્યો હતો. એટલે પૂર્વ ભૂસ્તર શાસ્ત્રી વીડિયો કૉલથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટમાં જ્જ , વકીલ, પોલીસ તથા એક આરોપી બતાવી કોર્ટની પ્રોસીજર પુર્ણ કરાવી હતી. ડિમેટ એકાઉન્ટમાંથી તમામ શેર અને મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કર્યુંજેની થોડીવારમાં તેમને કહેવાયું હતું કે, સુપ્રિમ કોર્ટનો આદેશ હોવાથી તમારા ડીમેટના એકાઉન્ટના તમામ રૂપિયા ઇન્કવાયરી અર્થે સુપ્રિમ કોર્ટમાં જમા કરાવવાના છે. અને ICICI ડાયરેક્ટ ડિમેટ એકાઉન્ટનો યુઝર આઈડી, પાસવર્ડ અને ઓટીપી મેળવી લીધો હતો. જેના થકી ડિમેટ એકાઉન્ટમાંથી તમામ શેર અને મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કરી નાખ્યું હતું. વોટ્સએપથી સ્કિન શેરીંગ કરીને 40 લાખ પડાવી લીધાજ્યારે શેર વેચાણથી આવેલી રકમ રૂ. 28,00,000 અને મ્યુચ્યુઅલ ફંડના રૂ. 11,00,000 એમ મળી કુલ રૂ. 39,99,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં આરટીજીએસ અને યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. બાદમાં ઇન્સ્પેકટર સંદિપ રાવે વોટ્સએપથી સ્કિન શેરીંગ કરી બન્ને વચ્ચેની તમામ ચેટ ડિલીટ મારી દીધી હતી. આખરે છેતરાયા હોવાની જાણ થતા પૂર્વ ભૂસ્તરશાસ્ત્રીએ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટીપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે હવે કોળી યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓનો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે આ વીડિયો માયાભાઈના ફાર્મ હાઉસનો છે અને નવનીતભાઈને માર્યા તે પહેલાંનો વીડિયો હોવાનું પણ જણાવાયું છે. તો હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કોળી નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું છે કે બે જગ્યા શંકાના દાયરામાં આવે છે. એક તો માયાભાઈને માફી માંગવી પડી એનાથી નારાજ થઈને એમના દીકરાએ કરાવ્યું છે કે પછી કોઈ ટ્રસ્ટી મંડળે કરાવ્યું છે. આ તપાસના અંતે જ બહાર આવશે. સંચાલક મંડળમાં સ્થાનને લઈને તો ઘટના નહીં બની હોય ને: ઋત્વિક મકવાણાબગદાણામાં કોળી યુવક પર જીવલેણ હુમલાના કેસ મુદ્દે ભાસ્કરે ઋત્વિક મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બગદાણામાં સેવકોના જે 1500 જેટલા મંડળો ચાલે છે, તેમાં 70-80 ટકા મંડળો કોળી સમાજના છે. તો આ લોકોની એક માગ હતી કે અમે માત્ર સેવા કરવા જ આવીએ છીએ તો તેમના સંચાલક મંડળ અને નિયામક મંડળમાં પણ તેમણે સ્થાન મળવું જોઈએ અને તેના અનુસંધાને આ ઘટના બની હોય તોય ના નથી. ‘હીરાભાઈ જ નેતૃત્વ લે’મુદ્દાને રાજ્કીય બનાવવાની જગ્યાએ સામાજિક બનાવવો જોઈએ અને હીરાભાઈ જ આનું નેતૃત્વ લે કારણ કે હીરાભાઈ જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે છે. તો અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ જ લડે તેવી ત્યાંના લોકોની લાગણી છે. ‘સામાજિક મુદ્દે અમે હીરાભાઈ સાથે’ સામાજિક મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજ લડતું હોય તો અમે હીરાભાઈ સાથે, પણ જો ભાજપના ધારાસભ્ય તરીકે હીરાભાઈ લડતા હોય તો અમારું સ્ટેન્ડ પોલિટીકલ છે. ‘વીડિયો બનાવવા સુધીની હિંમત કોને આપી’હુમલાખોરોને પકડ્યા તો છે પણ એ વીડિયો કોલ કરીને કોને દેખાડતા હતા, શા માટે વીડિયો બનાવ્યા,વીડિયો કોને મોકલ્યો છે, વીડિયો બનાવવા સુધીની હિંમત કોને આપી, તેનું બેકસાઇડ કોણ છે એ બહાર આવવું જોઇએ, કારણ કે નાના માણસ તો નહીં હોય ને. ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ (ગુંડાઓ)નું ચાલે છે: ચાવડાબગદાણાના સરપંચ પર કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ X પર પોસ્ટ કરી કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ‘સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, આરોપીને બક્ષવામાં નહીં આવે’અમિત ચાવડાની X પોસ્ટ પર ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, ગુનો કરનાર આરોપીને બક્ષવામાં આવતા નથી. નો પોલિટિકલ પ્રોટેક્શન, ઓન્લી પ્રોશિકયુશનના નેમ સાથે સરકાર કામગીરી કરી રહી છે બગદાણાની ઘટના વ્યક્તિગત છે, સામસામે FIR થઈ કોંગ્રેસની રાજનીતિ ફક્ત આક્ષેપો પર નભેલી છે. બગદાણાની ઘટના વ્યક્તિગત છે જેમાં સામસામે FIR થઈ છે. સંબંધિત ઘટનામાં જે કોઈ ગુનેગાર હશે, ગુનો થયો હશે તો અંતિમ સજા થશે. ફરિયાદમાં BNS કલમ 109નો ઉમેરો કર્યોઆ કેસમાં બનાવના મુખ્ય 4 આરોપી નાજુભાઈ કામડિયા, રાજુભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા અને અન્ય આરોપીઓના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા. રિમાન્ડ આવતીકાલે બપોરે 4 કલાકે પૂર્ણ થશે. રિમાન્ડ દરમિયાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આ બનાવની ફરિયાદમાં BNS કલમ 109નો ઉમેરો કર્યો છે. પોલીસ નવનીતભાઈનું આજે ફરીથી વિશેષ નિવેદન લેશેપ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ ભોગબનનાર નવનીતભાઈનું આજે ફરીથી વિશેષ નિવેદન લેશે. તે નિવેદનના આધારે પોલીસ સઘન તપાસ કરશે અને ઝડપાયેલા તમામ આરોપીના મોબાઈલના સીડીઆર મંગાવવામાં આવ્યા છે અને CCTV ચેક કરવામાં આવશે. આગામી 2 દિવસમાં તમામના મોબાઈલ વધુ તપાસ અર્થે એફએસલમાં મોકલવવામાં આવશે. માયાભાઈના પુત્ર પરના આક્ષેપ પર તપાસભોગબનનાર નવનીતભાઈ દ્વારા માયાભાઈના પુત્ર જયરાજ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. સાથે બનાવ બન્યો ત્યારે જે મોબાઈલમાં વીડિયો ઉતારવવામાં આવ્યો હતો તે કોના મોબાઈલમાં ઉતારવવામાં આવ્યો હતો અને ત્યારે કોની સાથે વાત થઈ હતી તે અંગે તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો: હીરા સોલંકી બોલ્યા- કોઈ ચાળો ન કરે એવું કરીશું, બાલધિયાએ કહ્યું- આ માયાભાઈ આહીરના પુત્ર જયરાજનું ષડયંત્ર
રંગીલા રાજકોટવાસીઓ નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુમાંથી કમાણી કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત શહેરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે ઇ-વહીકલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માત્ર 1 ફોન કરીને તેના જુના ઇલેક્ટ્રોનિક સાધનોનો ઘરેબેઠા નિકાલ કરી શકશે. એટલું જ નહીં આ નકામી વસ્તુઓનાં રૂ. 2,000 સુધીની રકમ મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવશે. આમ લોકોને નકામી વસ્તુઓમાંથી કમાણી કરવાનો મોકો મળશે. પ્રાપ્ત વિગત મુજબ લોકોના ઘરોમાં પડી રહેલા જૂના અને બિનઉપયોગી ઇલેક્ટ્રોનિક સાધનો, જેને આપણે 'ઇ-વેસ્ટ' કહીએ છીએ, તેના યોગ્ય નિકાલ માટે મનપાએ ખાસ ઇ-વ્હીકલ સેવાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા છે કે નાગરિકોએ ભંગાર આપવા ક્યાંય જવાની જરૂર નથી, પરંતુ માત્ર એક ફોન કરવાથી મહાપાલિકાની ગાડી ઘરે આવી જશે. આ વ્યવસ્થાથી રાજકોટના રહેવાસીઓને હવે બિનઉપયોગી સાધનોના નિકાલની ચિંતામાંથી મુક્તિ મળશે અને સાથે પર્યાવરણ સુરક્ષામાં સહભાગી થવાનો અવસર પણ પ્રાપ્ત થશે. આ યોજના હેઠળ નાગરિકોને તેમના જૂના ઇલેક્ટ્રોનિક સાધનોના બદલામાં આકર્ષક આર્થિક વળતર આપવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે જૂનું એર કન્ડિશનર (AC) હોય તો તેના રૂ. 2000 ચૂકવવામાં આવશે. તેવી જ રીતે જૂના લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, વોશિંગ મશીન અને ફ્રીજના નિકાલ પર રૂ. 500 વળતર તરીકે મળશે. આ સિવાય જો તમારી પાસે બિનઉપયોગી મોબાઈલ ફોન હોય તો તેના રૂ. 200 અને વાયર સહિતની અન્ય તમામ નાની-મોટી નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે પ્રતિકીલો રૂ. 15 લેખે રકમ ચૂકવવામાં આવશે. આમ, જે કચરો અત્યાર સુધી ખૂણામાં પડ્યો રહેતો હતો, તે હવે નાગરિકો માટે કમાણીનું સાધન બનશે. રાજકોટ મહાપાલિકાએ આ કાર્ય માટે ECS (E-Waste Collection Services) નામની અધિકૃત એજન્સી સાથે ખાસ ભાગીદારી કરી છે. આ અભિયાનનો પ્રારંભ તા. 02-01-2026ના રોજ વોર્ડ નં. 13માંથી કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રથમ દિવસે જ ખૂબ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે 6 કિલો જેટલો ઇ-વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો. આ સેવાનો લાભ લેવા માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 155304 અથવા મોબાઈલ નંબર 89800 04000 પર સંપર્ક કરીને પોતાના ઘરે ઇ-વેસ્ટ પિકઅપ માટે બુકિંગ કરાવી શકે છે, જેનાથી ફ્રી ડોર-ટુ-ડોર સેવાનો લાભ મળશે. ઇલેક્ટ્રોનિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. સામાન્ય રીતે લોકો ઇ-વેસ્ટને કચરાપેટીમાં કે અન્યત્ર ફેંકી દેતા હોય છે, જેના કારણે તેમાં રહેલા ઝેરી તત્વો જમીન, પાણી અને હવામાં ભળીને ગંભીર પ્રદૂષણ ફેલાવે છે. આ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી સાબિત થાય છે. ECS જેવી એજન્સી દ્વારા આ કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયક્લિંગ કરવામાં આવશે, જેનાથી કુદરતી સંસાધનોનો પુનઃઉપયોગ શક્ય બનશે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાશે. આ પગલાથી રાજકોટ શહેર 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત નવી ઊંચાઈઓ સર કરશે તેવું માનવામાં આવે છે. મહાનગરપાલિકાના મેયર અને અન્ય પદાધિકારીઓએ રાજકોટના તમામ નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા ખાસ અપીલ કરી છે. મનપા દ્વારા શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર આ ઇ-વ્હીકલ ફેરવવામાં આવશે જેથી દરેક નાગરિક પોતાના ઘરનો ઇ-કચરો જવાબદારીપૂર્વક નિકાલ કરી શકે. આ યોજના માત્ર આર્થિક લાભ માટે નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવાના સંકલ્પને સાકાર કરવાની તક છે. લોકોમાં જાગૃતિ આવે અને તેઓ આ પ્રક્રિયામાં જોડાય તો આગામી દિવસોમાં રાજકોટ ઇ-વેસ્ટ મુક્ત શહેર બની શકે છે.
વડોદરા શહેરના તરસાલી સોમા તળાવ રિંગ રોડ પર રહેતા આવેલી આવેલી પારુલ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે ઘરમાં સાફસફાઈ માટે ઘાંઘરેટિયાની સોસાયટીમાં રહેતા વાઘોડિયા ખાતે યુવતીને રાખી હતી. છેલ્લા ચાર વર્ષથી કામ કરતી યુવતીએ પ્રોફેસર તથા તેમના પતિ નોકરી પર જાય ત્યારે ઉપરના માળે તિજોરીમાં મુકેલા સોના દાગીના અને રોક્ડા રૂપિયા લઈને પલાયન થઇ ગઇ હતી. LCB ઝોન - 3ની ટીમે ચોરી કરનાર મહિલા તેમજ ડભોઇના સોનીને ઝડપી પાડ્યો છે. પોલીસે તેમની પાસેથી ન ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 11.85 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. વડોદરા શહેરના તરસાલી સોમા તળાવ રીંગ રોડ પર આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા નિમિતા ચેતનભાઈ ગુજર વાઘોડીયા ખાતે આવેલ પારૂલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે તેમના પતિ પ્રાઈવેટ નોકરી કરે છે. તેમની સાથે ઉમર લાયક સાસુ અને સસરા રહેતા પ્રોફેસરે છાયા મનોજ બારીયા (રહે. ઘાઘરેટીયા ગામ)ને ઘરનું કામ કરવા માટે નોકરી રાખી હતી. કામવાળી બાઈ છેલ્લા ચાર વર્ષથી તેમના ઘરે કામ કરતી હતી. બેડ રૂમમાં મૂકેલી લોખંડની તિજોરીમાં સોના ચાંદીના દાગીના જોવા માટે મહિલા પ્રોફેસર ગયા હતા. ત્યારે તિજોરી અને ડ્રોઅર ખુલ્લા જોવા મળ્યાં હતા. જેથી પ્રોફેસરે તિજોરીની અંદર ચેક કરતા સોના ચાંદીના દાગીના મળી આવ્યા નહોતા. જેથી પ્રોફસર સહિતના દંપતીએ ઘરના ખુણેખુણા પર દાગીનાની તપાસ કરી હતી અને મારા સાસુ સસરાને પુછયુ હતું. પરંતુ દાગીનો પતો લાગ્યો ન હતો. આ દરમિયાન પ્રોફેસરને તેમના પતિએ પ્રથમ મેરેજ એનિવર્સરીએ ગીફટમાં આપેલી સોનાની વીટી ઘરે કામ કરવા માટે આવેલી છાયા બારીયાએ પહેરેલી હતી, જે વિટી બાબતે પ્રોફેસરે તેને પૂછ્યું હતું. ત્યારે કામવાળી બાઇ કોઇ જવાબ આપ્યાં વગર જતી રહી હતી. પ્રોફેસરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કામવાળી બાઈ છાયા બારીયાએ સોનાના દાગીના ડભોઇના સોનીને વેચી દીધા છે. જેથી પોલીસે છાયાબેન મનોજભાઈ બારીયા (રહે.લીમડી ફળીયુ, ગેસ ગોડાઉન બાજુમાં સોમા તલાવ, ડભોઈ રોડ) અને અલ્પેશ પ્રવીણચંદ્ર સોની (રહે, ચોક્સી બજાર, ડભોઈ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી સોનાના ચાંદીના દાગીના અને રોકડા 28 હજાર મળી 11.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે કબ્જે કરેલ મુદામાલ મગળસુત્ર કાળામણી સાથે નંગ-૦૧ વજન-૩૩.૪૬૦ ગ્રામ, અદાજીત કી.રૂ.૩,૩૪,૧૫૨/- વીટી નંગ-૦૧ વજન-૦૧.૧૯૦ ગ્રામ અંદાજીત કી.રૂ.૧૧,૩૨૮/- સીંગલ બુટ્ટી વજન-૦૧.૫૫૦ ગ્રામ અંદાજીત કી.રૂ.૧૭,૩૪૦/- પેંડલ નંગ-૦૧ વજન-૦,૩૦૦ ગ્રામ અંદાજીત કી.રૂ.૨૮૫૬/- ચાંદીની પાયલ જોડ-૦૧ (નંગ-૦૨) વજન-૭૩.૩૬૦ ગ્રામ અંદાજીત કી.રૂ.૪૭૫૦/- રણી ઢાળકી નંગ-૦૧ વજન-૮.૪૫૦ ગ્રામ અંદાજીત કી.રૂ.૮૫,૦૧૭/- રણી ઢાળકી નંગ-૦૧ વજન-૬૫.૨૩૦ ગ્રામ અંદાજીત કી રૂ.૭,૦૨,૨૫૦/- રોકડા રૂ.૨૮,૦૦૦/-
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરમાં રોજગાર સર્જનના પ્રયાસોને વધુ વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર, 2 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નિમણૂકપત્ર વિતરણ સમારોહ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.ટી. નિગમમાં પસંદ થયેલા કુલ 4,742 ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવશે. STના 4,742 ઉમેદવારોને નિમણૂકપત્ર આપશેઆ સમારોહમાં એસ.ટી. નિગમના 3,084 ડ્રાઈવર તથા 1,658 હેલ્પર પદો માટે પસંદ થયેલા ઉમેદવારોને અધિકૃત રીતે સેવાકાર્યમાં જોડાવાનો અવસર મળશે. રાજ્ય સરકારની પારદર્શક અને મેરિટ આધારિત ભરતી પ્રક્રિયાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.
હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, એસી/એસટી DYSP કુલદીપ નાયી અને ગોપાલસિંહ રાઠોડ સહિતના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ દર વર્ષે ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ યોજાતો હતો. દેશમાં માર્ગોના વિકાસ સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક એજ્યુકેશન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવનમાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો એક કાર્યક્રમ યોજાયો હતો.
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા 29મી ડિસેમ્બરે કિચન ગાર્ડનિંગ અને હોમ કોમ્પોસ્ટિંગ વિષયક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત ડૉ. આમી ત્રિવેદી (વ્યવસાયે પેથોલોજિસ્ટ)એ ઘરેથી નીકળતા સુકા પાંદડા તથા રસોડાના કચરાનો ઉપયોગ કરીને સરળ રીતે કોમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ સમજાવી. તેમણે ઓર્ગેનિક જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ઘરેલું કચરાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું. સત્રના અંતે ડૉ. આમી ત્રિવેદી દ્વારા ઉપસ્થિત તમામ સભ્યોને વાવેતર માટેના બીજોના પેકેટો પણ વિતરણ કરવામાં આવ્યા, જેથી સૌ પોતે ઘરે કિચન ગાર્ડન શરૂ કરવા પ્રોત્સાહિત થાય. આ કાર્યક્રમમાં ડૉ. ભરતભાઈ પટેલ (વ્યવસાયે સર્જન) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઔષધીય છોડનું મહત્વ સમજાવ્યું તેમજ ઘરે સરળતાથી માઇક્રોગ્રીન્સ કેવી રીતે ઉગાડવા અને તેના આરોગ્યલાભ વિશે વિસ્તૃત માહિતી આપી. આ સત્રમાં ક્લબના પ્રેસિડેન્ટ નમ્રિતા ચઢા, સેક્રેટરી સુનિતા શાહ સહિત 25 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 31 ડિસેમ્બરે રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે લગભગ 200 વિદ્યાર્થિનીઓ માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ (ભાવનાત્મક બુદ્ધિ) વિષયક એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો હેતુ યુવતીઓને તેમની ભાવનાઓને સમજવા, સંયમમાં રાખવા અને વ્યક્તિગત તેમજ શૈક્ષણિક વિકાસ માટે સકારાત્મક રીતે ઉપયોગ કરવાની માર્ગદર્શન આપવાનો હતો. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ચાર્મી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું, જે ઇન્ટરનેશનલ કરિયર કાઉન્સેલર, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોચ, પ્રેરણાત્મક વક્તા, ફિટનેસ એડવાઇઝર અને ડાન્સ માસ્ટર તરીકે જાણીતા છે. તેમણે વિદ્યાર્થિનીઓને પોતાની ભાવનાઓ ઓળખવા અને આત્મજાગૃતિ વિકસાવવાની સમજ આપી. સાથે જ સહાનુભૂતિ, અસરકારક સંવાદ અને ભાવનાત્મક સંતુલનના મહત્વ પર ભાર મૂક્યો, જેથી તણાવ, મિત્રતા અને પરીક્ષાના દબાણને શાંતિ અને સ્પષ્ટતા સાથે સંભાળી શકાય. વ્યવહારુ અભ્યાસના ભાગરૂપે એક લાફ્ટર સેશન (હાસ્ય સત્ર) પણ યોજવામાં આવ્યું, જેના કારણે આનંદમય અને ઉર્જાભર્યું વાતાવરણ સર્જાયું. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને હાસ્ય દ્વારા તણાવ ઘટાડવામાં તથા માનસિક સુખાકારી વધારવામાં થતી મદદનો અનુભવ કર્યો.
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દધિચી બ્રિજ પર આજે 19 વર્ષીય યુવકે જિંદગીથી કંટાળીને સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એકાએક બ્રિજની રેલિંગ પર ચડીને નદીમાં કૂદકો મારતા આસપાસના લોકો પણ સ્તબ્ધ રહી ગયા હતા અને તુરંત જ તેને બચાવવા માટે એકત્રિત થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી અને રેસ્ક્યુ બોટ આવે ત્યાં સુધી બ્રિજ પરથી દોરડુ ફેંકી યુવકને તરતો રાખી જીવ બચાવ્યો હતો. 19 વર્ષીય યુવકે એકાએક બ્રિજની રેલિંગ પર ચડીને નદીમાં ઝંપલાવ્યુંમળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ભીમજીપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક આજે બપોરના સમયે શહેરના વાડજ વિસ્તારમાં આવેલા દધીચિ બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અચાનક જ બ્રિજની રેલિંગ પાર કરીને નદીમાં કૂદકો મારી દીધો હતો. આ ઘટના નજરે જોતાની સાથે જ સ્થાનિકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા. યુવકને બચાવવા માટે થઈને લોકોએ સૌથી પહેલા રેલિંગ ઉપર ચડીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તે નદીમાં કૂદી ગયો. એક રિક્ષાચાલક પાસે દોરી હતી. જે દોરી નીચે નદીમાં નાખી હતી અને તેને પકડી રાખવા કહ્યું હતું જેથી તેણે પકડી રાખી હતી. જિંદગીથી કંટાળી ગયો હોવાથી આપઘાતનું પગલું ભર્યુંસ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે તેને બચાવવા માટે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, જેથી સાબરમતી નદીમાં રેસ્ક્યુ માટેની ફાયરની બોટ રવાના થઈ હતી અને ત્યાં પહોંચી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તેને બચાવી લેવાયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ યુવક ભીમજીપુરામાં રહે છે અને જિંદગીથી કંટાળી ગયો હોવાના કારણે થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગોધરામાં 4 જાન્યુઆરીએ રક્તદાન કેમ્પ:જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરી
ગોધરા શહેરમાં 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે નાગરિકોને આ સેવાકીય કાર્યમાં જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, રક્તદાન એ મહાદાન છે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીનો જીવ બચાવી શકે છે. ડૉ. દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેકની નૈતિક ફરજ છે. તેમણે કહ્યું કે, રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. તેમણે ગોધરાના નાગરિકોને 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞમાં યોગદાન આપવા નમ્ર અપીલ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા એક જૂના મકાનનો પહેલા માળનો પેસેજ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મકાનના પહેલા માળે મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ ફસાયા હતા. સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા વર્ષો જૂના મકાનમાં બની હતી. પેસેજ ધરાશાયી થતાં મોટો અવાજ આવ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાંચ વ્યક્તિઓ અચાનક ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક મદદની જરૂર હતી. ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ઝડપી અને સુઆયોજિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ ફસાયેલા તમામ પાંચ વ્યક્તિઓને કોઈ પણ ઈજા વગર સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ ઘટનાના પગલે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર ફાઈટર ટીમે મકાનમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ પણ પરિવારજનોને પરત સોંપી હતી. તમામ વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ટ્રાફિક સલામતી સપ્તાહ શરૂ:બનાસકાંઠામાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે
સમગ્ર ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. આ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ કચેરીથી ટ્રાફિક સલામતી સપ્તાહની રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને નિયમોથી અવગત કરાવવાનો છે. આ જાગૃતિ અભિયાન એક મહિના સુધી ચાલશે, જેમાં જિલ્લા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાહનચાલકો સીટ બેલ્ટ બાંધે, હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવે અને ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરે તે અંગે ભાર મૂકવામાં આવશે. ટ્રાફિક પી.આઈ. જાડેજાએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે આ જાગૃતિ કાર્યક્રમો એક મહિના સુધી અલગ અલગ તાલુકા મથકે, શાળાઓમાં અને કચેરીઓમાં યોજાશે.
રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટીના આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે યોજાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ કસોટી આગામી 04 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાજ્યના 25 જિલ્લાઓમાં યોજાશે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષા સવારે 11:00 થી 01:00 કલાક દરમિયાન યોજાશે. ગોધરા ખાતે કુલ 11 પેટા કેન્દ્રો પર 2536 ઉમેદવારો 106 બ્લોકમાં પરીક્ષા આપશે. મુખ્ય કેન્દ્રોમાં ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ, શ્રીમતી ટી.સી. સોની માધ્યમિક વિદ્યાલય, સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ, નાલંદા સ્કૂલ, એમ એન્ડ એમ મહેતા હાઇસ્કૂલ, અનજ મહાજન સાર્વજનિક હાઈસ્કૂલ અને રોટરી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 'ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ (સેન્ટર A)' ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કુલ 08 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા અને 02 વર્ગખંડો લહિયા ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે. દિવ્યાંગ ઉમેદવારોની મદદ માટે 02 'દિવ્યાંગ મિત્ર' (1 સ્ત્રી અને 1 પુરુષ) ની નિમણૂક કરાશે, અને ચાલવામાં અસમર્થ ઉમેદવારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પરીક્ષા સામગ્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે PSI કક્ષાના અધિકારીના મોનિટરિંગ હેઠળ 3 શિફ્ટમાં ગાર્ડ તૈનાત રહેશે. પરીક્ષાના દિવસે સવારે 8:00 વાગ્યાથી અધિકૃત ઝોનલ અધિકારીઓ દ્વારા પોલીસ સુરક્ષા હેઠળ કેન્દ્રો પર પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે. જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને નિર્ધારિત સમયે કેન્દ્ર પર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.
પાટણ જિલ્લામાં ઓવરલોડ રેતીના વાહનો અને તેનાથી ગ્રામીણ રસ્તાઓને થતા નુકસાન અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મુખ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ રેતીના વાહનો અને ટર્બા ચાલકો સામે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બાલીસણા ગામના જાગૃત નાગરિક પ્રજ્ઞેશ પટેલે આ મુદ્દે લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રેતી ભરેલા વાહનો નિયત મર્યાદા કરતાં વધુ વજન ભરીને બેફામ ગતિએ દોડે છે. આ વાહનો દ્વારા વગાડવામાં આવતા મોટા અવાજના હોર્નથી ગ્રામજનો અને રાહદારીઓમાં ભયનો માહોલ પેદા થાય છે. ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનેલા ગ્રામીણ રસ્તાઓ ઓવરલોડ વાહનોના સતત પસાર થવાને કારણે ટૂંકા સમયમાં જ તૂટી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમણે ઓવરલોડ વાહનો પર અંકુશ લાવવા અને નિયમ ભંગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરમારે ગ્રામીણ અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓને થતા નુકસાન અંગે તંત્ર દ્વારા તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયે આ રજૂઆતને ગંભીરતાથી લીધી છે અને સચિવાલયના સંબંધિત વિભાગોને સક્રિય કર્યા છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ મુખ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને પત્ર પાઠવી નિયમોનુસાર જરૂરી તપાસ અને કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આ આદેશમાં ખાસ કરીને ઓવરલોડિંગ રોકવા, રસ્તાઓની જાળવણી કરવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને જપ્ત કરવા જેવી કામગીરી કરવા જણાવાયું છે. આગામી દિવસોમાં પાટણ જિલ્લાના ખાણ-ખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારના યુવક આકાશ સોનવણેનું જૂની અદાવતને કારણે રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ વાઘોડિયા રોડ પર લઈ જઈને પાઇપ અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ હતા, જેમણે આકાશને અપહરણ કરી ઢોર માર માર્યો હતો. મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને આજે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ફરિયાદી આકાશ સોનવણેએ જણાવ્યું હતું કે, જ્યારે હું બહાર ઉભો હતો ત્યારે એક અજાણ્યા છોકરાએ આવીને તેને સાથે ચાલવા કહ્યું હતું. જ્યારે મેં તેની ઓળખ પૂછી હતી, ત્યારે બીજો એક છોકરો આવ્યો અને બંને મને પરાણે ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન ત્રણ-ચાર લોકો ભેગા થઈ ગયા અને મેં જ્યારે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેને પાઇપના ફટકા માર્યા હતા. લોકોના ટોળાને ગેરમાર્ગે દોરવા માટે હુમલાખોરોએ એમ કહ્યું કે આ તો 'ઘરનો મામલો' છે, જેથી કોઈ મારી મદદે આવ્યું નહોતું ત્યારબાદ તેને ખેંચીને ગંગાસાગર ચાર રસ્તા સુધી લઈ જવામાં આવ્યો હતો અને રિક્ષામાં બેસાડીને હાઈવે તરફ લઈ ગયા હતા. ત્યાં એક જંગલ જેવા વિસ્તારમાં આવેલા રૂમમાં તેને પાઇપ અને ઇંટો વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે હું બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ હું માંડ-માંડ હાઈવે સુધી પહોંચ્યો હતો અને મેં કોઈનો ફોન માંગીને મારા મિત્રનો સંપર્ક કર્યો હતો. મિત્રની મદદથી હું મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં તેણે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હુમલાખોરોમાં પ્રિન્સ ચૌહાણ નામનો વ્યક્તિ સામેલ હતો, જે સોમા તળાવ વિસ્તારનો રહેવાસી છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શાકંભરી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદના પ્રખ્યાત જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં એક અમૂલ્ય ભેટ ધરવામાં આવી છે. ગ્રુપ દ્વારા માતાજીને આશરે 43.51 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. 620 ગ્રામ સોનું અને રત્નોથી મઢેલો મુગટપોષી પૂનમ એટલે કે માં અંબાનો પ્રાગટ્ય દિવસ નજીક છે, ત્યારે શાકંભરી નવરાત્રીના આઠમા દિવસે એટલે કે 2 જાન્યુઆરીના રોજ આ વિશેષ પૂજા વિધિ યોજાઈ હતી. આ મુકુટ અંદાજે 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મુકુટમાં અનેક પ્રકારના કિંમતી હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. રત્નો અને સોના સાથે આ મુકુટની અંદાજિત કિંમત 43.51 લાખ રૂપિયા છે. કલેકટર સહિત મહાનુભાવોની હાજરીમાં માતાજીને મુગટ અર્પણ આ સુવર્ણ મુકુટ અર્પણ વિધિ સમયે જય ભોલે ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં અંબાજી મંદિરના ચેરમેન, જિલ્લા એસપી (SP), જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મંદિરના વહીવટદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જય ભોલે ગ્રુપે અગાઉ પણ સોનાની વસ્તુઓ માતાજીને ભેટ ધરીજય ભોલે ગ્રુપના દીપેશ પટેલે જણાવ્યું હતું કે, પોષી પૂનમ અને માં અંબાના પ્રાગટ્ય પર્વના શુભ અવસરે માતાજીની સેવા કરવાનો આ એક લ્હાવો છે. નોંધનીય છે કે આ ગ્રુપ દ્વારા અગાઉ પણ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના ભાગરૂપે મંદિરમાં સોનાની વસ્તુઓ સુવર્ણ પાદુકા, સોનાનું ચામર અને સોનાના કુંડળની ભેટ આપવામાં આવી છે.આ પણ વાંચો : અંબાજી મંદિરમાં નવા વર્ષથી મોટો ફેરફાર:શિખર પર હવે 52 ગજને બદલે માત્ર 5 મીટરની જ ધજા ફરકશે પ્રાગટ્ય દિવસ માતાજીની નગરયાત્રા પોષ સુદ પૂનમ એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે શાકંભરી નવરાત્રીનો પૂર્ણાહુતિનો દિવસ પણ હોય છે. આ પવિત્ર અવસર પહેલા માતાજીના શૃંગારમાં આ નવા સુવર્ણ મુકુટનો ઉમેરો થતા ભક્તોમાં પણ ભારે આનંદની લહેર જોવા મળી રહી છે. 3 જાન્યુઆરીએ પોષી પૂનમના દિવસે સવારે 10 શક્તિદ્વારા પર માતાજીની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીના ચલ સ્વરૂપને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવશે અને માતાજી નગરચર્યાએ નીકળશે. માતાજીની આ નગરયાત્રામાં 40 જેટલા ટેબલો-ઝાંખીઓ રહેશે. આખું અંબાજી કાલે માતાજીની ભક્તિમાં લીન થશે અને ઠેર ઠેર માતાજીનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર નગરયાત્રા દરમિયાન મંદિર ટ્રસ્ટ તરફથી 2100 કિલો સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવસે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર-જામવાળા રોડના વાઇડનિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને વાહનવ્યવહારને વધુ સરળ બનાવવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જામવાળા ગામતળમાં 07 મીટર પહોળાઈમાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ઘાંટવડથી જામવાળા વચ્ચેના માર્ગને પણ પહોળો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
બોટાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને બોટાદ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીનું પ્રસ્થાન મહિલા કોલેજ ખાતેથી થયું હતું અને તે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી મહિલા કોલેજ ખાતે પરત ફરી સમાપ્ત થઈ હતી. આ રેલીમાં કોલેજના શિક્ષકો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રેલીમાં ડી.જે., બે બળદગાડી અને બે ટ્રેક્ટર સહિતના વાહનો જોડાયા હતા. આ રેલી દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન, કાર્ય અને રાષ્ટ્ર માટેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન સરદાર પટેલના વિચારો અને દેશભક્તિના સંદેશાઓ દર્શાવતા બેનરો તથા સૂત્રોચ્ચારથી શહેરમાં દેશપ્રેમનું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે, સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી બોટાદ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના દિનેશભાઈ ભુવાએ આપી હતી.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તત્કાલીન ડીડીઓ દ્વારા બાંધકામ મંજૂરી માટે જારી કરાયેલા પત્રો અને પરિપત્રો સર્વાનુમતે રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજૂરીની જૂની પદ્ધતિ ફરીથી અમલમાં આવશે. બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગેરકાયદે બાંધકામ મંજૂરી આપનાર સરપંચો સામે કાર્યવાહી કરવાની ટકોર કરી હતી. આજરોજ મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરા ટમારીયા, ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અગાઉ મળેલી વિવિધ કમિટીઓની અને સામાન્ય બેઠકોની કામગીરીને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ અંગે જારી કરાયેલા ત્રણેય પત્રો અને પરિપત્રોને સર્વાનુમતે રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઠરાવ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉની જેમ જ બાંધકામ મંજૂરી આપવાની પદ્ધતિ પુનઃસ્થાપિત કરાશે. વર્તમાન ડીડીઓ દ્વારા આ અંગેનો જરૂરી પરિપત્ર વહેલી તકે જારી કરવામાં આવશે તેમ નક્કી કરાયું હતું. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવા પત્રો કે પરિપત્રોનું ઘણા વર્ષોથી ક્યાંય અમલીકરણ થતું નથી. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે તત્કાલીન ડીડીઓ દ્વારા આવા પરિપત્રો જારી કરાયા ત્યારે વર્તમાન બોડી શું કરી રહી હતી? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મોરબી જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી આપવામાં આવી હોય તો તે સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ અંગેની નોંધ નવા પરિપત્રમાં કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા વિકાસ કામોના જે એજન્ડા હતા તે એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી પેરામિલ્ટ્રી ફોર્સમાં ફરજ બજાવતા કોઈપણ યુવક યુવતી જો ફરજ દરમિયાન શહીદ થાય તો તેના પરિવારને જિલ્લા પંચાયત મારફતે બે લાખ તથા જિલ્લા પંચાયતના કર્મચારી ફરજ દરમિયાન અવસાન થાય તો બે લાખ રૂપિયા આપવા માટેનો સર્વનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
આયુષ્માન આરોગ્ય મંદિરનું સ્થળ નિરીક્ષણ:સીડીએચઓએ ચંદ્રુમાણા ગામની ફિલ્ડ વિઝીટ કરી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલે બુધવારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ફિલ્ડ વિઝીટ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આયુષ્માન આરોગ્ય મંદિરની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, બાજુમાં નવનિર્મિત થનારા નવા મકાનની જગ્યાનું પણ નિરીક્ષણ કરી તાલુકા હેલ્થ ઓફિસર અલકેશ સોહેલ સાથે ચર્ચા કરી હતી. ડો. પટેલે ગામમાં છ દિવસ અગાઉ જન્મેલા એક ઓછા વજનવાળા બાળકના માતા-પિતાને સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર પાસે બાળકના આરોગ્યની ચકાસણી કરાવવા સમજાવ્યા હતા. આરોગ્ય કેન્દ્રમાં આવેલી સગર્ભા તેમજ અન્ય મહિલાઓને તેમણે આરોગ્યની જાળવણી માટે નિયમિત તપાસ કરાવવા જણાવ્યું હતું. સાથે જ, વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. નવીન આયુષ્માન આરોગ્ય મંદિર જ્યાં બનવાનું છે, તે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ડો. પટેલે ઝડપથી કામ શરૂ થાય તે માટે સંબંધિત કક્ષાએ ચર્ચા કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત સમયે ગામના સીએચઓ મમતાબેન, આરોગ્ય કાર્યકર સરોજબેન, મહેશ પ્રજાપતિ અને આશા કાર્યકરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજનાનો ડંકો:1.28 લાખ દર્દીને ₹315 કરોડથી વધુની નિઃશુલ્ક સારવાર મળી
પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – આયુષ્માન ભારત) હેઠળ અત્યાર સુધીમાં 1.28 લાખથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છે. વર્ષ 2018થી અમલમાં આવેલી આ યોજના અંતર્ગત જિલ્લામાં કુલ 3.15 અબજ રૂપિયાથી વધુની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. આ યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળ્યો છે. યોજનાને વધુ સમાવેશી બનાવવા માટે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વયવંદના યોજના હેઠળ વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 57,554 વડીલોને આયુષ્માન કાર્ડ અપાયા છે. આ ઉપરાંત, સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દેશની પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળે છે. આનાથી મોંઘી સારવારના ખર્ચથી થતી આર્થિક મુશ્કેલીઓ, જેમ કે ઘરેણાં વેચવા કે દેવામાં ફસાવાની સ્થિતિમાંથી, અનેક પરિવારોને રાહત મળી છે. જિલ્લા પંચાયત પાટણના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે અત્યંત લાભદાયી છે. આ યોજના દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની નિઃશુલ્ક સારવાર મળી રહી છે, જેનાથી તેમના ખિસ્સા પરનો બોજ ઓછો થયો છે. પાટણ જિલ્લામાં આ યોજનાનો વ્યાપ વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ ચાલુ રહેશે. પાટણ જિલ્લામાં PMJAY યોજના આરોગ્ય ક્ષેત્રે ગરીબ પરિવારોને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી રહી છે. આ યોજનાની સફળતા જિલ્લા આરોગ્ય તંત્રની સક્રિય કામગીરી અને જનજાગૃતિનું પરિણામ છે.
કેન્દ્ર સરકારની પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરને 100 ઇ-બસો ફાળવવામાં આવી છે, જે પૈકી 40 બસો ભાવનગર આવી પહોંચી છે. આગામી કમુરતા પૂર્ણ થયેથી મનપા દ્વારા શહેરમાં આ ઇ-બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં આવેલી તમામ ઇ-બસોની પાર્સિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી પૂર્ણ કર્યા બાદ ત્વરિત રૂટ શરૂ કરવા કવાયત ચાલી રહી છે. ત્યારે મનપાના મેયર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સિટીબસ સેવાના લોકાર્પણ કાર્યક્રમ અંગે આમંત્રણ પાઠવવમાં આવ્યું છે. ભાવનગરને 100 ઇ-બસો ફાળવવામાં આવીએક સમયે ભાવનગર શહેરના તમામ રૂટ પર સિટી બસો દોડતી હતી. ત્યારબાદ ધીરેધીરે એક પછી એક તમામ રૂટ બંધ થયા હતા, અને અંદાજિત 2 વર્ષ કરતા વધુ સમયથી શહેરમાં સિટી બસ સેવા બંધ પડી છે. ત્યારે હવે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તે પહેલાં મનપાના શાસકો સિટી બસ સેવા શરૂ કરવા મથામણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગરને 100 ઇ-બસો ફાળવવામાં આવી હતી, અને જે પૈકી 40 બસો હાલ ભાવનગર આવી ચૂકી છે. જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જિંગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. શહેરમાં 155 સ્ટોપ પોઇન્ટ આઇડેન્ટિફાય કરવામાં આવ્યાઆવનાર દિવસોમાં, એટલે કમુરતા પૂર્ણ થતાં, ઇ-બસ સેવા શરૂ કરવા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સિટીબસ સેવા માટે શહેરમાં કુલ 17 રૂટો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 9 અર્બન/શહેરી અને 8 સબ-અર્બન/શહેર બહારના રૂટો નક્કી કરવામાં આવ્યા છે. જે માટે શહેરમાં 155 સ્ટોપ પોઇન્ટ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. 'નાનામાં નાના માણસોને ક્યાંય તકલીફ નહીં પડે'મેયર ભરત બારડે વધુમાં જણાવ્યું હતું કે, આ ઈ-બસના 17 રૂટ નક્કી કર્યા છે જે 28 KM સુધી લઈ જવાના છે, અને નાનામાં નાના માણસોને ક્યાંય તકલીફ પડે નહીં અને સુગમતા રહે, ભાડામાં પણ સુગમતા રહે અને લોકોને સુવિધા મળી રહે તે માટે આ ઈ-બસ સેવા શરૂ કરી રહ્યા છીએ. લગભગ કમુરતા પૂરા થાય ત્યાં સુધીમાં બસનું આરટીઓ પાર્સિંગ પણ થઈ જશે અને આ બસને રોડ પર દોડતી કરી દઈશું.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામની વસાહતમાં રહેતા પરપ્રાંતિય પરિવારના એક યુવકને તેના જ પરિવારના સભ્યો સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેના કારણે ગત મોડી રાત્રે યુવકને એક બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ફેંકી દીધો હતો. યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અન્ય ગ્રુપના લોકોને પણ ઇજાઓ પહોંચી હતી. પરિવાર સાથે ઝઘડો થયો ને પાંચમાં માળેથી યુવકને નીચે ફેંક્યોવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામની સેન્ચ્યુરી કંપની પાસેની વસાહતમાં રહેતા 25 વર્ષના અનુજ છનનુલાલ સકસેનાને અગાઉ તેમની જ વસાહતમાં રહેતા તેમના પરિવારના સદસ્યો સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો. ગત રાત્રે 11 વાગ્યા બાદ તેઓ સેન્ચ્યુરી કંપની પાસેથી પસાર થતા હતા, ત્યારે તેમના પરિવારના સદસ્યો તેમને મળી ગયા હતા અને તેને પરાણે કંપનીની સામેની એક બિલ્ડીંગના પાંચમા માળે લઈ ગયા હતા અને ત્યાંથી તેને ફંગોળી દેવાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતાં અમદાવાદ રિફર કરાયોઆ ઘટનામાં અનુજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વડોદરાની આથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ અધિકારી સતીષ છગનભાઈના જણાવ્યા અનુસાર બંને પક્ષે તકરાર થઈ હતી. તેને કારણે યુવકને ઇજા પહોંચી છે. હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તલવારથી મારતા ડાબા હાથમાં ઇજાઓઆ ઘટનામાં અન્ય ચાર વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં વિજયકુમાર શિહોરીલાલ જનાલ (ઉંમર વર્ષ 28) ને તલવારથી મારતા ડાબા હાથમાં ઇજાઓ પહોંચી હતી. સાથે જ પ્રવેશ શાહ (ઉંમર વર્ષ 24), સુભાષ વૃંદાવન જનાલ (ઉંમર વર્ષ 30 અને કરણ સક્સેના ( ઉંમર વર્ષ 30) ને બીજાઓ પહોંચતા સહેજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાંચ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ શહેરની પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. પોલીસ તપાસ દરમિયાન, પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું છે. SOGએ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામ શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદ આરીફ મુઝીબર શેખ છે. જામનગર જિલ્લો સરહદી અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. જિલ્લામાં મોટી ઓઈલ રિફાઈનરી કંપનીઓ પણ આવેલી છે, જેના કારણે તેની સુરક્ષા પડકારજનક છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરીને દેશમાં પ્રવેશ કરી અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓના બનાવો બન્યા છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસવાટ કરતા આવા ઈસમોને શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત, SOGના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ જામનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન PSI એ.વી. ખેર અને પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ સોઢાને બાતમી મળી હતી. બાતમીના આધારે, જામનગરની પટેલ કોલોની, શેરી નંબર-11, સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પાંચ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા મળી આવ્યા હતા, જેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના તરસાલી વિજયનગર પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન 125 એમ.એમ.ની ગેસની લાઈન તૂટી જતાં 300 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે આ પુરવઠો 3 કલાક સુધી બંધ રહેતા નાગરિકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લીકેજ થતા ગેસ પુરવઠો ખોરવાયો હતોવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે વડોદરા મહાનગરપાલિકાના ઇજારદાર દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી. આ સમયે ગેસની લાઇન આ વિસ્તારમાંથી પસાર થતી હતી. જ્યાં કામગીરી દરિમયાન લીકેજ થતા ગેસ પુરવઠો ખોરવાયો હતો. આ ગેસ પુરવઠો ખોરવાતા આખરે અનેક લોકોના ઘરમાં ગેસ ન મળતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગેસનો પુરવઠો બંધ કરી મરામતની કામગીરી કરાઈઉલ્લેખનીય છે કે, ગત ગઈ કાલે પણ શહેરના નવાપુરા વિસ્તારમાં અને ગત સપ્તાહે ગાજરાવાડીમાં ગેસ લાઈન ક્ષતિગ્રસ્ત થતા આ ગેસ પુરવઠો કલાકો સુધી ગેસ પુરવઠો ખોવાઈ ગયો હતો. સવારે તરસાલી વિજય નગર પાસે ગેસ લાઇન તૂટતાં આ અંગેની જાણ વીજીએલ (વડોદરા ગેસ લિમિટેડ)ને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસનો પુરવઠો બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી. 300 મકાનમાં ગેસ પુરવઠો 3 કલાક સુધી મળ્યો નહોતોગેસ પુરવઠો ખોરવાતા તરસાલી વિસ્તારમાં આવેલી વિજયનગર, શાંતિનગર સહિતના અંદાજે 300 જેટલા મકાનમાં ગેસ પુરવઠો 3 કલાક સુધી મળ્યો ન હતો. જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા હતા. જો કે ગેસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આખરે આ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.
હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. GUDCના એન્જિનિયર દ્વારા મળેલી માહિતી મુજબ, 700 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં કુલ 19 પિયર પિયર કેપ સાથે તૈયાર થઈ ગયા છે. જૂની સિવિલ તરફ તૈયાર પિયર કેપ પર પ્રથમ ગર્ડર લોન્ચિંગની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં દુર્ગા બજાર વિસ્તાર તરફ ગર્ડર લોન્ચિંગની કામગીરી પ્રગતિમાં છે. રેલવે ફાટક આસપાસ બે પિયર કેપ સાથે તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત, ટર્નિંગમાં ડેક સ્લેબની કામગીરી પણ ચાલી રહી છે. આ ઓવરબ્રિજ અંદાજે 22 કરોડના ખર્ચે બનશે. તે સાડા સાત મીટર પહોળો હશે અને રેલવે સેક્શનમાં ફૂટપાથ સાથેનો રહેશે. સ્થળ પર બનાવેલા ગર્ડરની લોન્ચિંગ કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલમાં 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થવા આવી છે. માર્ચ 2026 સુધીમાં આ રેલવે ઓવરબ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
બોટાદમાં આગામી જાન્યુઆરી માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 28 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે.કાર્યક્રમ બોટાદના તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, પાળિયાદ રોડ ખાતે યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે સ્વાગત (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે. જે નાગરિકો પોતાના પ્રશ્નો કે ફરિયાદોની રજૂઆત કરવા માગતા હોય, તેમણે જરૂરી આધાર-પુરાવા સાથે 13 જાન્યુઆરી, 2026 સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે. અરજીઓ મામલતદાર કચેરી (ગ્રામ્ય), બોટાદ ખાતે જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 10:30 થી સાંજના 6:10 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકો swagat.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી પણ કરી શકે છે. મામલતદાર (બોટાદ ગ્રામ્ય) દ્વારા બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
મહીસાગર નદી પર જુના ગંભીરા બ્રિજની રીપેરીંગ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જોકે આ કામગીરીમાં જોવા મળી ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરી દરમિયાન જે ડામરનો કાટમાળ નીકળી રહ્યો છે, તેને મજૂરો નદીના વહેતા પાણીમાં ફેંકી રહ્યા છે. રોડનો કાટમાળ વાહનમાં ભરી અન્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે વહેતા પાણીમાં ફેંકવામાં આવી રહ્યો છે. 21 લોકોનો ભોગ લેનાર વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજને સમારકામ કરીને ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ યુદ્ધના ધોરણે આ બ્રિજને શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે. જેમાં મજૂરો દ્વારા બ્રિજની કામગીરીનો કાટમાળ નદીના પાણીમાં જ ફેંકવામાં આવી રહ્યો છે. મહી નદી પર આવેલો ગંભીરા બ્રિજ ગત જુલાઇ મહિનામાં તૂટી પડતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ આસપાસના ગામો અને કંપનીમાં કામ કરતા કર્મીઓને અવર-જવર માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. આખરે બીજો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન છે. આગામી દિવસોમાં સ્ટીલ બ્રિજ ખુલ્લો મૂકાશે. રૂા.9.12 કરોડના અંદાજિત ખર્ચથી નવો સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવનાર સ્ટીલ બ્રિજની લંબાઈ અંદાજે 45 મીટર જેટલી હશે, જ્યારે તેનું વજન 150 ટન હશે. જેથી લોકોને રાહત થશે. ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈના બ્રિજ દુર્ઘટના બની તે દિવસે સવારથી લઈ રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યાર બાદ 10 જુલાઈના પૂનમ હોવાથી મહીમાં ભરતીના પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી, જોકે ઓટ આવ્યા બાદ રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતાં મૃત્યુઆંક 21 થયો હતો. આ સાથે જ 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી.
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડની વચ્ચેના કટ બંધ કરીને ડિવાઇડર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ત્યાં હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઇડર બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે થઈને રાણીપ જુના ગરનાળામાં થઈને ચાંદલોડિયા તરફ જનારા વાહનચાલકોને રોંગ સાઈડમાં આવવું પડી રહ્યું છે. નાના વાહનો નિર્ણયનગર અંડરપાસની ઉપર એલએમબી બ્રિજ પરથી જઈ શકે છે પરંતુ વાહન ચાલકો ત્યાંથી રોંગ સાઈડમાં જ આવી રહ્યા છે. ડિવાઈડર બંધ કર્યું લોકો રોંગ સાઈડ આવે છે છતાં પણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળી નથી. રોડનો કટ બંધ કરાતા વાહનચાલકો રોંગ સાઈડમાં આવવા લાગ્યાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર અને ઇજનેર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા જે રોડમાં કટ મુકવામાં આવ્યો હતો. તેને બંધ કરી ડિવાઈડર બનાવવાની કામગીરી ટ્રાફિકને લઈને કરવામાં આવી રહી છે. નિર્ણય નગરના જુના ગરનાળા તરફ થઈને લોકો ઉમિયા હોલ ચાર રસ્તા તરફ જવા માટે ત્યાંથી જતા હોય ત્યારે ટ્રાફિક થતો હોય છે જેથી ટ્રાફિક પોલીસના સૂચનના ઇજનેર વિભાગના ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરીને રોડનો કટ બંધ કરી ડિવાઇડર કરી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા સર્જાતા ત્યાં કટ બંધ કરી દેવામાં આવ્યોએ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ નીતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, નિર્ણયનગર અંડર પાસમાંથી ચાંદલોડિયા તરફ બહાર નીકળતા જે કટ હતો તેને બંધ કરવાની જરૂર હતી. કારણ કે ત્યાં ટ્રાફિકની સમસ્યા હતી. જુના ગરનાળા તરફથી આવનારા વાહન ચાલકો ત્યાંથી નીકળતા હતા જેથી ચાંદલોડિયા તરફ જનારા લોકોને તકલીફ પડતી હોવાના કારણે થઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસના સૂચનના આધારે ત્યાં કટ બંધ કરી દેવામાં આવ્યો છે અને કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવ્યું છે. નિર્ણયનગર અન્ડર પાસની ઉપર જે LMV બ્રિજ બનાવવામાં આવેલો છે તેને પહોળો કરવા માટે પણ કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું છે. રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છેનિર્ણયનગર અંડર પાસમાંથી રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છે. અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા રોડનો કટ હતો. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે બંધ કરી ડિવાઈડર બનાવવામાં આવી રહ્યું છે જેના કારણે થઈને હવે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. રાણીપ અને મિર્ચી ગ્રાઉન્ડની પાછળના ભાગેથી આવનારા વાહન ચાલકો જુના ગરનાળામાંથી ઘાટલોડીયા ઉમિયા હોલ તરફ અથવા ચાંદલોડિયા તરફ જાય છે. લોકો રોંગ સાઈડમાં ચાર રસ્તા સુધી જઈ રહ્યા છે, અકસ્માત સર્જાય તેવી સ્થિતિઅગાઉ જે રોડ નો કટ હતો ત્યાંથી જતા હતા પરંતુ તેના કારણે ટ્રાફિક થતો હોવાથી તેને બંધ કરી દેવાતા હવે લોકોને રોંગ સાઈડમાં ચાર રસ્તા સુધી જવું પડી રહ્યું છે જેના કારણે થઈને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂના ગરનાળામાંથી વાહન ચાલકો સીધા રોંગ સાઈડમાં ચાર રસ્તા તરફ આવી રહ્યા છે. નિર્ણયનગર અંડર પાસની ઉપરના ભાગે ટુ વ્હીલર જઈ શકે તેવો LMV બ્રિજ બનાવવામાં આવેલો છે જોકે આ બ્રિજ ઉપરથી પણ ટુ-વ્હીલર ચાલકોની સાથે ફોર વ્હીલર અને રીક્ષા ચાલકો પણ પસાર થતા હોવાના કારણે ત્યાં ટ્રાફિક જામ સર્જાય છે. રોંગ સાઈડમાં આવતા ને અટકાવવા ટ્રાફિક પોલીસ નથીમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવી દેતા હવે વાહન ચાલકોને રોંગ સાઈડમાં અટકાવવા ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકવા જરૂરી છે અને જે વાહન ચાલકો રોંગમાં આવી રહ્યા છે તેમને અટકાવવા જોઈએ નહીં તો ત્યાં અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતા છે. જે ટુ વ્હીલર વાહન ચાલકો જુના ગરનાળામાંથી આવી રહ્યા છે તેમને અંડરપાસ ઉપર નાના બ્રિજ ઉપર થઈને પછી ચાંદલોડિયા તરફ જઈ શકે તેના માટે ફરજિયાત કરવું જરૂરી છે તો જ અકસ્માત નિવારી શકાશે.
પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ:પાટણ ચૌધરી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ, કડક કાયદાકીય કાર્યવાહી તથા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના 20 ડિસેમ્બર, 2025ના રોજ પાલનપુર-અમદાવાદ હાઈવે પર બની હતી. આ એક પૂર્વયોજિત અને ગંભીર હત્યાનો બનાવ હોવાનું જણાવાયું છે, જેણે જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા ઉભી કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી પર તલવાર, ધોકા અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમના મિત્ર નીતિન ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ તપાસ મુજબ, આ હુમલો જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઇરાદાથી અને પૂર્વયોજિત રીતે કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ ઉર્ફે લાલો નિમેષભાઈ માળી સહિતના આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે. મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો માળી સામે અગાઉ પણ કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પાટણ ચૌધરી સમાજના આગેવાનો હરેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ ચૌધરી સહિતના સભ્યોએ કલેક્ટર તુષાર ભટ્ટ સમક્ષ આ રજૂઆત કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાંથી વહેલી સવારે આશરે ૪૦ શંકાસ્પદ માંસ ભરેલા થેલા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગોધરા બી-ડિવિઝન પોલીસ અને નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે આ માંસનો જથ્થો તળાવમાં ફેંકી દીધો હતો. આ તળાવનું પાણી ગામના દુધાળા પશુઓ પીવે છે. ઉપરાંત, તળાવની નજીક જ ગામને પીવાનું પાણી પૂરું પાડતી વોટર વર્ક્સની ટાંકી આવેલી છે. આથી, ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ આ ઘટનાને માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નહીં, પરંતુ ગોધરા અને જિલ્લાની કોમી એકતા અને શાંતિ ભંગ કરવાના ષડયંત્ર તરીકે ગણાવી છે. તેમણે અગાઉ ગામના મંદિર પાસે પણ આવા જ અણછાજતા કૃત્ય થયા હોવાનું જણાવ્યું હતું. માંસનો જથ્થો મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી તળાવમાંથી ફેંકાયેલા થેલાઓને બહાર કાઢી વિસ્તારને જંતુમુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ કૃત્ય કરનારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારે નાના શહેરોના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 5 શહેરોને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે હવે માસ્ટર પ્લાન તૈયાર કરવા અર્બન પ્લાનર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ 5 શહેર 2030 સુધીમાં ‘સેટેલાઇટ ટાઉન’ બનશેરાજ્ય સરકારે અમદાવાદ નજીક સાણંદ, ગાંધીનગર નજીક કલોલ, વડોદરા નજીક સાવલી, સુરત નજીક બારડોલી અને રાજકોટ નજીક હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. વર્ષ 2030 સુધીમાં આ શહેરોમાં મહાનગર સમકક્ષ સુવિધાઓ વિકસાવીને તેમને આર્થિક પ્રવૃત્તિના નવા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર વધતું ભારણ ઘટાડી શકાય. એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર થશેશહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે નાના અને મધ્યમ શહેરોમાં રોજગારી, રહેઠાણ અને જીવનની ગુણવત્તા એકસાથે સુધરે. આ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સ દ્વારા એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર કરાશે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક થશે. સેટેલાઇટ ટાઉન એટલે શું?મહાનગરથી એક કલાકની અંદર પહોંચી શકાય એવા શહેરોને ઓળખીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે. અહીં ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ અને નાગરિક સુવિધાઓ વિકસાવી મોટા શહેરો પરનું દબાણ ઘટાડવાનો હેતુ હોય છે. સેટેલાઇટ ટાઉનમાં વિશ્વસ્તરીય સુવિધાઓનો પ્લાનસેટેલાઇટ ટાઉનમાં ઇલેક્ટ્રિક બસ સાથેનું જાહેર પરિવહન, રિંગ રોડ, પાણી પુરવઠો, વેસ્ટ મેનેજમેન્ટ, અર્બન ફોરેસ્ટ પાર્ક, તળાવો, મોડેલ ફાયર સ્ટેશન અને ‘મિક્સ યુઝ’ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. કામગીરીને ઝડપ આપવા મંજૂરી અને દેખરેખ સમિતિ પણ રચાઈ છે. 'નાના શહેરોમાં વિકાસની અપાર સંભાવનાઓ છે'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, અર્બન એરિયા દેશનું ગ્રોથ સેન્ટર છે. વિકસિત ભારત માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવાના છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સ અને યુવા શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, નાના શહેરોમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર શહેરી વિકાસ નહીં, પરંતુ રાજ્યના ભવિષ્યની આર્થિક દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યો છે.
વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્યભરમાં તૈયારીઓ તેજ બની છે, તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પ્રવાસે છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં તેવી શકયતા. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને તેમના પરત ફરવામાં મોડું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીમાં આ ચર્ચા થઈ શકે છેરાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મહત્વની ચર્ચાઓ કરી શકે છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી, મહાનગરપાલિકા સહિત વિવિધ નિગમોમાં ચેરમેન અને હોદ્દેદારોની નિમણૂક, તેમજ સંગઠનાત્મક સંતુલન જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં હોવાનું મનાઈ રહ્યું છે. આ કારણે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને માત્ર ઔપચારિક નહીં પરંતુ નિર્ણાયક ગણવામાં આવી રહી છે. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં CMના બદલે નાયબ મુખ્યમંત્રી હાજર રહેશેઆ વચ્ચે વાયબ્રન્ટ સમિટ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટ આવનાર હોવાથી રાજ્ય સરકાર અને સંગઠન બંને સ્તરે પ્રવૃત્તિ તેજ બની છે. સૌરાષ્ટ્રને ઉદ્યોગ અને રોકાણના નકશામાં વધુ મજબૂત સ્થાન આપવા માટેની વ્યૂહરચનામાં મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની ગેરહાજરીને પગલે મહાત્મા મંદિર ખાતેના આજના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહેશે.
મહેસાણા જિલ્લાનું વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલમાં ગુવારની આવકનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અહીં નવા અને જૂના ગુવારની મળીને દૈનિક 1000બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુવારના સૌથી વધુ ભાવ વિસનગર માર્કેટયાર્ડમાં મળી રહ્યા હોવાથી અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની જણસ વેચવા ઉમટી પડ્યા છે. યાર્ડમાં પ્રતિ મણ 1000થી 1150 રૂપિયા સુધીકઠોળ ખેત પેદાશમાં મહત્વનું સ્થાન ધરાવતા ગુવારના ભાવ હાલમાં વિસનગર યાર્ડમાં પ્રતિ મણ 1000થી 1150 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. અન્ય બજારોની સરખામણીએ અહીં ખેડૂતોને પ્રતિ મણ 150થી 200 રૂપિયાનો સીધો ફાયદો થઈ રહ્યો છે. આ આકર્ષક ભાવને કારણે જ માર્કેટયાર્ડમાં ગુવારની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. '31 ડિસેમ્બર 2025 સુધીમાં જ આશરે 52,000 બોરીની આવક થઈ ચૂકી'માર્કેટયાર્ડના ચેરમેન જયતીભાઈ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં વિસનગર APMC ગુવારના વેપાર માટે અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અહીં કુલ 1,16,774 બોરી ગુવારની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે 31 ડિસેમ્બર 2025 સુધીમાં જ આશરે 52,000 બોરીની આવક થઈ ચૂકી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગત વર્ષે સરેરાશ 1000 રૂપિયાની આસપાસ રહેતા ભાવની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને વધુ સારા ભાવ મળી રહ્યા છે
1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ
Gujarat Corruption News: ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે. તેમની આશરે ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે તેમને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાંડની માગ કરવામાં આવશે.
SOGએ વિશ્વાસઘાત-ઠગાઈના આરોપીને ઝડપ્યો:વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી કાલોલથી પકડાયો
પંચમહાલ SOG પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિનોદ દલપતભાઈ પરમારને કાલોલના કાશીયાઘોડા પાસેથી પકડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સફળતા મળી છે. એસ.ઓ.જી. પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમ આ ગુનામાં કાર્યરત હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી કાલોલ પંથકમાં છે. આ બાતમીના આધારે, એસ.ઓ.જી. ટીમે કાલોલ તાલુકાના કાશીયાઘોડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને આરોપી વિનોદ પરમારને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી માટે તેને વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડામાં આજે ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનમાં આર્થિક સહાય અને શ્રમિક પરિવારોની મહિલાઓની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ સાથે શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. માગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકીઆ આપવામાં આવી છે. સાથેસાથે આંદોલનને ઉગ્ર બનાવીને ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવી છે. 10 હજાર કરોડના પેકેજમાં હિસ્સાની માગરાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ સહાયમાં ભાગીયા તરીકે ખેતી કરતા શ્રમિકોનો સમાવેશ કરવામાં ન આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. શ્રમિકોએ જણાવ્યું હતું કે, તેઓ 200થી 500 કિલોમીટર દૂરથી આવીને 27થી 30 ટકા ભાગે જમીન વાવી ગુજરાન ચલાવે છે. પાક નિષ્ફળ જવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે, છતાં સરકારી સહાયથી તેઓ વંચિત છે. શોષણ અને સુરક્ષા અંગે ગંભીર આક્ષેપરેલી દરમિયાન શ્રમિકોએ વહીવટી તંત્ર સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. શ્રમિક આગેવાનોના જણાવ્યા અનુસાર, ખેત મજૂરી કરતા શ્રમિકોની બહેન-દીકરીઓના યૌન શોષણની ઘટનાઓમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલટું, ન્યાય માંગવા બદલ શ્રમિકોને ડરાવવામાં અને ધમકાવવામાં આવતા હોવાનું નિવેદન કરવામાં આવ્યું છે. આંદોલનની ચીમકીગઢડા રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગરમાયું હતું. ખેત શ્રમિક આગેવાન રાકેશ ભૂરિયાએ જણાવ્યું હતું કે, જો સરકાર શ્રમિકોની વેદના નહીં સમજે અને તાત્કાલિક સહાય જાહેર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશ દિવને ગુજરાત સાથે જોડતો પુલ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. 'મીની ગોવા' તરીકે ઓળખાતા દિવમાં હજારો પ્રવાસીઓ આવે છે, ત્યારે આ બિસ્માર પુલને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ ઉનાના તડ ચેકપોસ્ટ અને બુચારવાડા ચેકપોસ્ટ વચ્ચે આવેલો છે. રોજિંદા હજારો વાહનો અને બહારથી આવતા પ્રવાસીઓ આ પુલ પરથી પસાર થાય છે, જેના કારણે તેની જાળવણી અત્યંત જરૂરી છે. પુલની ખરાબ હાલતને કારણે અત્યાર સુધીમાં નાના-મોટા અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. સ્થાનિક વાહનચાલકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભીંગરણ ગામના રહેવાસી હિરેનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ પરના રસ્તાનું કામ વહેલી તકે થવું જોઈએ. હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે અહીં ઘણા અકસ્માતો થાય છે. સ્થાનિક તંત્રને અપીલ કરું છું કે આ બ્રિજ પરના રસ્તાનું સમારકામ વહેલી તકે થાય. સ્થાનિક રિક્ષાચાલક બાબુભાઈ દાનાભાઈ બાંભણીયાએ પણ જણાવ્યું કે, બ્રિજનો રસ્તો બિસ્માર હોવાથી વાહન ચલાવવામાં તકલીફ પડે છે. આ રસ્તા પર હમણાં માટી નાખવામાં આવી છે, પહેલા તો બહુ ખાડા હતા અને તાજેતરમાં જ અહીં 4 અકસ્માત થયા છે. આ વિસ્તારના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો, જેમની રોજિંદી અવરજવર દિવ હોય છે, તેમને આ બ્રિજ પરથી પસાર થવું પડે છે. સ્થાનિક ગામના આગેવાનોએ પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પુલનો રસ્તો બિસ્માર હાલતમાં જ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપી રહ્યું નથી અને કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાં પુલનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સરકાર દ્વારા આ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ ગ ઉઠી છે.
નાતાલ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં ડ્રંક એન્ડ ડ્રાઇવ તથા અન્ય ગુનાઓ સામે કુલ 2510 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે ઓવરસ્પીડિંગના 2822 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપી અસરકારક કામગીરી કરવા માટે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસે મદિરાપાન કરી વાહન ચલાવતા વ્યક્તિઓ તથા હાઇવે પર ઝડપી વાહન ચલાવનારાઓને ઝડપી પાડવા વિશેષ અભિયાન ચલાવ્યું હતું. આ માટે જિલ્લામાં અલગ-અલગ ટીમો રચી વિવિધ ચેકપોઇન્ટ તથા નાકાબંધી કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાનતા. 23/12/2025થી તા. 30/12/2025 ડ્રંક એન્ડ ડ્રાઇવ હેઠળ મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ 1598 કેસ નોંધાયા હતા. ત્યારબાદ નવા વર્ષની ઉજવણી દરમિયાન 31/12/2025થી તા. 1/1/2026 સુધી વધુ 912 કેસ નોંધાતા કુલ 2510 કેસ થયા છે. આ ઉપરાંત, હાઇવે પર અકસ્માતો ઘટાડવા ડિસેમ્બર મહિના દરમિયાન સ્પીડ ગનનો ઉપયોગ કરી ઓવરસ્પીડિંગના કુલ 2822 કેસ કરવામાં આવ્યા છે, જેના પરિણામે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ (108 સેવા) દ્વારા 108 જિલ્લા કચેરી ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 108 એમ્બ્યુલન્સ સેવા, 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જનરક્ષક સેવા, ખિલખિલાટ, મોબાઇલ હેલ્થ યુનિટ અને મોબાઇલ વેટનરી ડિસ્પેન્સરી સહિતના વિવિધ પ્રોજેક્ટોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓએ કેક કાપી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમને 'સોનેરી સંકલ્પો'ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સંકલ્પોમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તબદ્ધ અને પ્રામાણિક રીતે બજાવવી, દરેક ક્ષણના મહત્વને સમજી પૂર્ણ તત્પરતાથી સેવા આપવી તેમજ આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વધુ સચોટ અને ઝડપી સેવા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ ગયા વર્ષના અનુભવોની આપલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી તેમજ ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં આજે એકાએક તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 2.6 ડીગ્રી ગગડી 17 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગત રાત્રીથી જ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો,જે આજે સાવરથી પવનની ઝડપ વધી ને 10 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી હતી, આજે સાવરથી એકાએક ઠંડી નું જોર વધી રહ્યું છે, આજે તાપમાનનો પારો 19.6 થીગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો હતો, અને ભેજ નું પ્રમાણ 78 ટકા પહોંચ્યું હતું, આમ, ઘીમે ધીમે શહેરભરમાં ગુલાબી ઠંડી જામતી જાય છે, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 61 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું, આમ, ગઈકાલે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી હતું તે આજે 2.6 ડીગ્રી ઘટી ને 17 ડીગ્રી પહોંચ્યા હતો, આથી શિયાળાની સિઝનમાં ગઈકાલે રાત્રી થી જ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ઠંડીનું જોર જોવા મળી રહ્યું હતું, આજ સાવરથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાયો હતો, ગઈકાલ કરતા આજે એકાએક 2.6 ડીગ્રીમાં ઘડાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું, બપોર સુધી ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું, લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.
પાટડીના ધામા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન:કથા દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો યોજાયા
પાટડી તાલુકાના ધામા ગામે શ્રી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હનુમાનજી મંદિરના પૂજારી મહેશબાપુ અને સમસ્ત ગ્રામજનો દ્વારા કરાયું છે. મહંત હનુમાનદાસજી બાપુ, સર્વે સાધુ સંતો અને પિતૃઓના મોક્ષાર્થે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વ્યાસપીઠ પર કથાકાર રઘુવીરસિંહ હરિહર બિરાજમાન થઈ પોતાની આગવી સંગીતમય શૈલીમાં ભાવિક ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં પોથીના મુખ્ય યજમાન તરીકે વિભાભાઇ રાઠોડે લાભ લીધો હતો. કથા દરમિયાન પોથીયાત્રા, કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા અને રૂકમણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા. આ સપ્તાહમાં ધામા ગામ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી કથાનો લાભ લઈ રહ્યા છે. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા માટે મંદિરના મહંત મહેશ બાપુ સહિત સમગ્ર ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.
જામનગર, અમરેલી અને મોરબી જિલ્લામાં લૂંટ તથા ઘરફોડ ચોરી આચરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ સભ્યોને LCBની ટીમે ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં પાંચ જેટલી લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ જિલ્લામાં નોંધાયેલા લૂંટ, ઘરફોડ ચોરી અને મંદિર ચોરી જેવા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તમામ પોલીસ વિભાગને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને સ્ટાફના માણસોએ અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી જશોદા સોસાયટીમાં થોડા સમય પહેલા થયેલી મકાન ચોરીનો ભેદ ઉકેલવામાં LCB ટીમને સફળતા મળી છે. LCB ટીમે જામનગર અને અન્ય જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન રહેણાંક મકાનોને નિશાન બનાવી લૂંટ અને ચોરી કરતા ઇસમોને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ મોરકંડા પાટિયા પાસે લૂંટ અને ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની પેરવી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બિલાલ ઉર્ફે રામસિંગ ઉર્ફે જુવાનસિંગ દરિયાસિંગ ગણાવા (ઉં.વ. 29), લીલેશ ઉર્ફે નિલેશ કેલસિંગ આમલીયાર (અલાવા) (ઉં.વ. 25) અને માનુ ઉર્ફે નાનકો કુંવરસિંગ નજરુ મેડા (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી ચોરી અને લૂંટ દ્વારા મેળવેલો રૂ. 3.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓએ જશોદાનગરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આ ગુનામાં તેમની સાથે સંકળાયેલા સાલમભાઈ પરમસિંગ ઉર્ફે પારુભાઈ ગણાવા (રહે. ફૂડ તાલાબ બોરી, જોબટ જિલ્લો-અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં બેફામ કાર ચાલકના વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે બેફામ કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. રસ્તા પર પૂરપાટ ઝડપે વાહન હંકાવી અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર કરી હતી. અક્સ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક ચંદ્રકાંત પંચાલ રોડ પર ગંભીર રીતે ઘસડાયા હતાં. જેથી અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી બાઇક ચાલક ચંદ્રકાંત પંચાલનું મોત નીપજ્યું છે. પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પૂરપાટ ઝડપે આવી બાઈકને જોરદાર ટક્કર મારી અમદાવાદ શહેરમાં રાત્રે બેફામ વાહન હંકાવી કાર ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. ગઈકાલે(1 જાન્યુઆરી) મોડી રાત્રે 45 વર્ષીય ચંદ્રકાંતભાઈ પંચાલ બાઇક લઈને નીકળ્યા હતા. ચંદ્રકાંતભાઈ પંચાલ અર્ચનાબેન ઓઝાને પોતાની બાઇક પર બેસાડીને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઇક લઈને ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બેફામ વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. બાઇક રોડ પર ઢસડાયુ, એકનુ મોતઅજાણ્યા કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઇક રોડ પર ઢસડાયુ હતું. જે દરમિયાન ચંદ્રકાંતભાઈ રોડ પર ઢસડાતા જમણા હાથે તેમ જ છાતીના ભાગે પાંસળીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે એસવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચંદ્રકાંતભાઈ મોત નીપજ્યું છે. કારચાલક અકસ્માત સર્જીને ફરારજોકે અકસ્માત સર્જાયા બાદ કારચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) દ્વારા નેશનલ ફિઝીયોથેરાપી કોન્ફરન્સ 'CHAPCON 2025'નું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. 'Advancing Frontiers of Physiotherapy: Innovate, Integrate, and Illuminate' થીમ હેઠળ યોજાયેલી આ કોન્ફરન્સમાં 150થી વધુ ડેલીગેટ્સે ભાગ લીધો હતો. CHAPCON 2025નું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સના ચેરમેન ડો. યજ્ઞા શુક્લાએ કર્યું હતું. તેમણે NCAHP ફ્રેમવર્ક અને ભારતમાં એલાઈડ હેલ્થકેર શિક્ષણ તેમજ પ્રોફેશનલ પ્રેક્ટિસ સાથે તેની સુસંગતતા પર પ્રવચન આપ્યું. ચારુસેટ યુનિવર્સિટીએ નેશનલ લેવલની કોન્ફરન્સના આયોજન માટે સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જે તેની શૈક્ષણિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કોન્ફરન્સે ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ, ક્લિનિશિયનો, શિક્ષણવિદો અને સંશોધકોને જ્ઞાનના આદાનપ્રદાન અને પ્રોફેશનલ નેટવર્કિંગ માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ભારતના વિવિધ રાજ્યોના પ્રખ્યાત વક્તાઓએ 10થી વધુ કી-નોટ સેશન, પેનલ ડિસ્કશન અને પ્રદર્શન સત્રો દ્વારા તેમની કુશળતા રજૂ કરી. વૈજ્ઞાનિક ચર્ચાઓ ફિઝીયોથેરાપી પ્રેક્ટિસમાં તાજેતરની પ્રગતિ, રિહેબીલીટેશનમાં ટેકનોલોજીનું એકીકરણ, પુરાવા-આધારિત ક્લિનિકલ નિર્ણય લેવા અને દર્દીની સંભાળ માટેના અભિગમો પર કેન્દ્રિત હતી. આ સત્રોએ ફિઝીયોથેરાપી શિક્ષણ અને ક્લિનિકલ પ્રેક્ટિસમાં વર્તમાન વલણો અને ભવિષ્યની દિશાઓ વિશે મૂલ્યવાન માહિતી પૂરી પાડી. કોન્ફરન્સમાં 60થી વધુ સાયન્ટીફીક પેપર્સ અને પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રજૂ થયા. આનાથી સંશોધન અભિગમને પ્રોત્સાહન મળ્યું અને યુવા વ્યાવસાયિકોને ફિઝીયોથેરાપી સાહિત્યમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરાયા. ઇન્ટરેક્ટિવ સેશન અને હેન્ડ્સ-ઓન પ્રદર્શનોએ સિદ્ધાંતને ક્લિનિકલ એપ્લિકેશન સાથે જોડીને શીખવાના અનુભવને વધુ મજબૂત બનાવ્યો હતો. સમાપન સમારોહમાં ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલના ચેરમેન ડો. નેહલકુમાર શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે ડેલીગેટ્સને ફિઝીયોથેરાપી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, નૈતિક પ્રેક્ટિસ અને નવીનતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા. ARIPના પ્રિન્સીપાલ ડો. ધ્રુવ દવેના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિ, ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થી સ્વયંસેવકોના પ્રયાસોથી CHAPCON 2025 સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ કોન્ફરન્સે નવીનતા, પુરાવાના એકીકરણ અને સમાજના લાભ માટે શ્રેષ્ઠ પ્રથાઓ દ્વારા ફિઝીયોથેરાપીને આગળ વધારવાના વિઝનને પ્રદર્શિત કર્યું હતું.
ગત 31 ડિસેમ્બરના રોજ નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું ઇન્ચાર્જ ડીસીપી તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાયમી પોલીસ વડાના નામને લઈ પોલીસ બેડામાં અનેક અટકળો વહેતી થઈ હતી. આ અટકળો વચ્ચે હવે શમશેરસિંઘને દિલ્હીથી પરત ગુજરાત કેડરમાં બોલાવી લેવામાં આવ્યા છે. આમ કે.એલ.એન.રાવને ઈન્ચાર્જ ડીજી બનાવાયાના એક દિવસ બાદ મોટો ફેરફાર ગુજરાત પોલીસ બેડામાં શું રંધાઈ રહ્યું છે? કેન્દ્રના ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા 1991 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી શમશેર સિંઘને BSFમાંથી સમય પહેલાં જ તેમના પેરેન્ટ કેડર ગુજરાતમાં પરત મોકલવાનો આદેશ કર્યો છે. તેઓ હાલ BSFમાં ADG તરીકે ફરજ બજાવી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2 જાન્યુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, શમશેર સિંહની તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર રિપેટ્રિએશન મંજૂર કરવામાં આવી છે. તેમને રિલીવ કરવામાં આવેલી તારીખ અંગેની જાણકારી ગૃહ મંત્રાલયને આપવામાં આવશે. આ આદેશની નકલ ગુજરાતના ચીફ સેક્રેટરી તથા ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP)ને પણ મોકલવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આગામી DGP અંગે ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં આ નિર્ણયને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શું શમશેરસિંઘ નવા કાયમી DGP બનશે?શમશેર સિંહ 1991 બેચના અનુભવી IPS અધિકારી છે અને કેન્દ્રમાં BSF જેવા અર્ધસૈનિક દળમાં ADG પદે રહી ચૂક્યા છે. સામાન્ય રીતે, કેન્દ્રથી રાજ્યમાં સમય પહેલાં પરત ફરતા વરિષ્ઠ IPS અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી માટે તૈયાર કરવામાં આવે છે, એવો વહીવટી વર્તુળોમાં અંદાજ છે. ગુજરાતમાં હાલમાં ઈન્ચાર્જ DGP તરીકે કે એલ એન રાવની નિમણૂક કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં શમશેર સિંહની અચાનક અને તાત્કાલિક રિપેટ્રિએશનને નવા DGPની પસંદગી સાથે જોડીને જોવામાં આવી રહી છે. સિનિયોરિટીને જોતા મજબૂત દાવેદારજો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ સીનિયરિટી, કેન્દ્ર-રાજ્યનો અનુભવ અને સુરક્ષા ક્ષેત્રનો વિશાળ અનુભવ તેમને DGP રેસમાં મજબૂત દાવેદાર બનાવે છે. આવનારા દિવસોમાં ગુજરાત પોલીસના ટોચના પદે કોણ બેસશે તે અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ડો. શમશેર સિંઘ જ્યારે રાજ્યમાં હતા ત્યારે તેઓ એસીબીના વડા તરીકે ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ એક વડોદરાના પોલીસ કમિશનર તરીકે પણ પોતાની કામગીરી બજાવી ચુક્યા છે. દરમિયાન તેઓ ડેપ્યુટેશન પર ગુજરાત બહાર બીએસએફમાં ફરજ બજાવી રહ્યા હતા. ACBમાં ભાટિયા અને શમશેરસિંઘની જોડી જામી હતીઅગાઉ જ્યારે આશિષ ભાટીયા અને શમશેરસિંઘ એસીબીમાં હતા ત્યારે તેમની કામગીરી નોંધપાત્ર બની હતી. તેઓની સારી કામગીરીના કારણે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવ્યું હતું. જોકે તેઓ હાલ ડેપ્યુટેશન પર હોવાથી રાજ્યમાં પરત આવશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં તેમના નામનો પણ રાજ્યના પોલીસવડા તરીકે ગણગણાટ થઈ રહ્યો છે. આઇપીએસ વિકાસ સહાય બાદ તે પણ સિનિયર મોસ્ટની કેટેગરીમાં આવે છે. 31 ડિસે.ની સાંજે રાવને ઇન્ચાર્જ ડીસીપી બનાવ્યા હતારાજ્ય પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ એન.રાવને મૂકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે (31 ડિસેમ્બર, 2025)નિવૃત્ત થઈ ગયા છે ત્યારે તેમની જગ્યાએ ચાર્જ આપવા માટે ઇન્ચાર્જ પોલીસવડાની નિમણૂક કરવાની હોવાથી અત્યારે હાલમાં ડો. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. ડીજીપી સાથે જોડાયેલી મહત્ત્વની વાતો, સુપરસીડથી લઈ સરકારની પસંદગીસામાન્ય રીતે તેવા જ અધિકારીની પસંદગી થતી હોય છે કે જે સરકારની ગુડ બુકમાં હોય છે, કેમ કે બે વર્ષ સુધી તેમને બદલવા મુશ્કેલ હોય છે. અનેક અધિકરીઓ દાવા કરતા રહે છે કે સરકારની નજીક અમે છીએ, પરંતુ સરકાર ઇચ્છે તો અમુક અધિકારીઓને સુપરસીડ કરી અન્ય અધિકારીને પણ પોસ્ટિંગ આપી શકે છે. રાજ્યમાં ડીજીપીનો નિર્ણય ન લઇ રાજ્ય સરકાર ઇચ્છે તો ઇન્ચાર્જ ડીજીપી પણ બનાવી શકે છે, પરંતુ એ ગાઇડલાઇનમાં આવતું નથી, પરંતુ સરકાર ખાસ કિસ્સામાં ઇચ્છે તો કરી શકે છે. ડીજીપી બનવાની પ્રક્રિયા શું હોય છે? સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું હોય છે? ગુજરાતમાં સરકારે ક્યારેય સુપરસીડ કરીને જુનિયરને ડીજીપી નથી બનાવ્યાજો અમુક કિસ્સામાં સરકારને ડીજીપી ન બનાવવા હોય તો આગલા અધિકારીને એક્સટેન્શન પણ આપવામાં આવતું હોવાની વાતને નકારી શકાય એમ નથી. અમુક અધિકારીઓ માટે રાજ્યમાં ચોક્કસ લોબી સક્રિય બની હોવાના કિસ્સા પણ છે. એવામાં કેટલાક આઇપીએસ અધિકારીઓ વચ્ચે તો શીતયુદ્ધ પણ થયાં છે. થોડા સમય પહેલાં પણ એક શહેરમાં આઇપીએસ અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ થયું હતું અને એ ઝઘડાની વાત સરકાર સુધી પહોંચી હતી. એક આઇપીએસ ઓફિસર ડીજીપી ન બની શકે એટલે બીજા બે આઇપીએસ અધિકારીઓએ તેની ઊંડાણપૂર્વક ગોઠવણ કરી સરકાર સુધી ચોક્કસ માહિતી મોકલી હતી. એકવાર એવું થયું કે અગાઉ એક આઇપીએસને ડીજીપી બનાવવા માટે પૂર્વ ડીજીપીએ જ સરકાર સાથે વાટાઘાટો કરી હતી અને તેઓ વાટાઘાટોમાં સફળ થયા હતા. અગાઉ એક આઇપીએસ ડીજીપી ન બને એ માટે ખાસ એક કાર્ટલે તૈયારી કરી એક આઇપીએસને એક્સટેન્શન અપાવવાનો ખેલ પણ ખેલ્યો હોવાની ચર્ચા થઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોઇપણ આઇપીએસ અધિકારીને સુપરસીડ કરી તેમના સ્થાને તેમના જુનિયર આઇપીએસ અધિકારીને ડીજીપી બનાવ્યા નથી, કેમ કે આમ કરવાથી આઇપીએસ બેડામાં ભારે નારાજગી અને અસંતોષની લાગણી ફેલાતી હોય છે અને સરકાર એ વિવાદમાં આવતી નથી. સામાન્ય રીતે તેઓ ઇન્ચાર્જ ડીજીપી બનાવીને આ વિવાદને ટાળતી હોય છે. અગાઉ ત્રણ ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું હતુંરાજ્ય સરકારની ગુડ બુકમાં નામ ધરાવતા અને કડક ઇમેજ ધરાવતા આઇપીએસ શિવાનંદ ઝા લાંબો સમય ડીજીપી રહ્યા હતા. તેઓ કોરોના સમયે રાજ્યના કાયમી પોલીસવડા હતા. એ સમયે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમણે કોરોના સમયે પોલીસને ખડેપગે રાખી કામગીરી કરાવી હતી, જેમાં તેઓ દરેક જિલ્લા અને શહેરના અધિકારીઓ પાસે કામ કરાવતા હતા. તેમના સમયગાળા દરમિયાન SMCની કાર્યપદ્ધતિ પણ બદલાઇ હતી અને એની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે પગલાં પણ લેવામાં આવતાં હતાં, જેના કારણે પોલીસમાં ડરનો માહોલ રહેતો હતો. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને પણ તેમનાં બે વર્ષ કરતાં ઓછો સમય મળ્યો હતો. પછી નવી ગાઇડલાઇન પ્રમાણે તેમને પણ 2 વર્ષ કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એના કારણે પૂર્વ આઇપીએસ સંજય શ્રીવાસ્તવને છ મહિના કરતાં ઓછો સમયગાળો નિવૃત્તિમાં બાકી રહ્યો હોવાથી તેઓ ડીજીપી બની શક્યા નહોતા. 31 ડિસેમ્બરે નિવૃત્ત થયેલા ડીજીપી વિકાસ સહાયે એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઈન મનાતા હતા. રાજ્યમાં એક જ સરકાર હોવા છતાં તેઓ લાંબો સમય એટલે કે ત્રણ પ્રમોશન સાથેનો સમય સાઇડ પોસ્ટીંગમાં ગાળ્યો હતો. જેમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઇ પોલીસ એકેડમી સહિત સાઇડની જગ્યાઓ પર ફરજ બજાવી હતી. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત્ત થયા બાદ તેમનો ચાન્સ લાગ્યો હતો. કેમકે, તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. માત્ર એટલું જ નહીં તેમને 6 મહિનાનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના ધારીના ભાડેર ગામમાં 37 દિવસ અગાઉ થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. દારૂના નશામાં અવાર-નવાર ઘરમાં ઝઘડો કરીને માતા પાસે અભદ્ર માંગણી કરતા પુત્રની કંટાળીને પિતાએ ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ લાશને ખેતરમાં દાટી દીધી હતી. જોકે, પાડોશીને લાશ જેવું કંઇક દેખાતા તેણે પોલીસને ટેલિફોનિક જાણ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. દારૂ પી પુત્ર માતા પાસે અભદ્ર માંગણી કરતોઆ ઘટનાની વિગતે વાત કરીએ તો ધારી તાલુકાના ભાડેર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વશરામ સેંજળીયાના બે પુત્રો પૈકી એક પુત્ર રાજકોટ ખાતે રહે છે. જ્યારે બીજો 25 વર્ષીય હિતેશ તેમની સાથે રહેતો હતો. જે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને દરરોજ દારૂ પીને ઘરે આવીને બબાલ કરતો હતો. આ દરમિયાન ગત 24 નવેમ્બર 2025ના રોજ દરરોજની જેમ હિતેશ દારૂને ધરે આવ્યો હતો અને માતા સાથે ઝઘડો કરીને અભદ્ર માંગણી કરતો હતો. કંટાળીને પિતાએ પુત્રની હત્યા કરીઆ દરમિયાન હિતેશના પિતા વશરામ સેંજળીયા ઘરે આવી જતાં તેમણે પુત્રને સમજાવ્યો હતો, પરંતું દારૂના નશામાં હિતેશ માતા-પુત્રના સંબંધ ભૂલીને અભદ્ર માંગણી કરતો હતો, જેથી ગુસ્સામાં વશરામ સેંજળીયાએ પોતાના ઘરમાં જ ગળેટૂંપો આપીને હિતેશની હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશને પોતાના જ ખેતરના સેંઢે લઇ જઇ ખાડો ખોદીને દાટી દીધી હતી. પાડોશીએ પોલીસને જાણ કરીઆ ઘટના બાદ પરિવાર રુટિન જીવન જીવી રહ્યો હતો, પરંતું ગત 31 ડિસેમ્બરના રોજ વશરામ સેંજળીયાના ખેતરની બાજુમાં આવેલા ખેતર માલિકે ખેતરના સેંઢે કંકાલ જોતા પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, સાહેબ મારા પાડોશી વશરામ સેંજળીયાના ખેતરમાં લાશ જેવું કંઇક કંકાલ દેખાય છે. જેથી પહેલી જાન્યુઆરીની વહેલી સવારે ધારી પોલીસ મથકનો સ્ટાફ ભાડેર પહોંચ્યો હતો અને વશરામ સેંજળીયા ખેતરમાં પંચોની હાજરીમાં કંકાલ દેખાયું ત્યાં ખોદકામ કરતા લાશ મળી આવી હતી. પોલીસે પિતાની પૂછપરછ કરી ગોળગોળ ફેરવ્યાયુવકની ડિકમ્પોઝ લાશ મળતા પોલીસે લાશને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. માટે ખસેડીને પરિવારની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને ગોળગોળ ફેરવ્યા બાદ વશરામ સેંજળીયાએ પુત્રની હત્યા કંટાળીને કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે વશરામ સેંજળીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પિતાએ પોલીસ આગળ કબૂલાત આપીઆ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે, અમને પાડોશીનો ફોન આવ્યો હતો, જે બાદ અમારી ટીમ પહોંચી તો જમીનમાં અડધુ ડાટેલું કંકાલ હતું. અમારી ટીમે પંચોની હાજરીમાં લાશને બહાર કાઢી હતી. જે બાદ પિતાને પોતાના બંને પુત્રો વિશે પૂછતા પહેલા પિતાએ ગોળગોળ ફેરવ્યા હતા. જોકે, બાદમાં પિતા ભાંગી પડ્યા હતા અને પોતે જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. હવે જુઓ હત્યાની અન્ય ઘટનાઓ અમદાવાદમાં પિતાએ ધારિયું ઝીંકી બેરોજગાર પુત્રનું કાસળ કાઢ્યું બે મહિના પહેલા અમદાવાદના રાણીપમાં પિતાએ પુત્રની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. બેરોજગાર પુત્ર પિતા સાથે અવારનવાર ઝઘડા કરીને હેરાન કરતો હતો, જેના કારણે પિતાએ પુત્રને ધારીયું મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. રાણીપ પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો રાજકોટમાં 70 લાખના વીમા માટે પુત્રએ પિતાની હત્યા કરાવી આજથી વીસ દિવસ પહેલા વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ પોતાના જ પિતાની હત્યા નિપજાવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં રહેતા યુવકને ઈઝરાયલ નોકરી કરવા જવા માટે પૈસાની જરુરિયાત હતી. જે પૈસાની જરુરિયાત પૂર્ણ કરવા પોતાના જ પિતાનો જીવ લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પિતાની 70 લાખ રૂપિયાની વીમા પોલિસી હોય તે પકવવા માટે પિતરાઈ સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો જસદણમાં પિતાએ પુત્રની હત્યા કરીજસદણના આટકોટ ગામે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી છે. આટકોટમાં પાણીના ટાંકા પાસે રહેતા ઘનશ્યામ સેલિયાએ પોતાના પુત્ર તુષાર સેલિયાની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અહિં ક્લિક કરીને સંપૂર્ણ સમાચાર વાંચો
યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. વર્ષના પ્રથમ દિવસે મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત પાછળ પ્રેમપ્રકરણ હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ દ્વારકા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ગોમતી ઘાટ પર પહોંચી ગયો હતો. અંધારી રાત્રે ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ નદીના પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચાસ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, યુવકે આ આત્મઘાતી પગલું પ્રેમ પ્રકરણના કારણે ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર પંથકમાં અરેરાટીસામાન્ય રીતે નવા વર્ષની ઉજવણીમાં લોકો ઉત્સાહિત હોય છે, ત્યારે પવિત્ર યાત્રાધામમાં બનેલી આ આત્મહત્યાની ઘટનાએ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં શોકનું મોજું ફેરવી દીધું છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે યુવક ક્યાંનો રહેવાસી હતો અને આપઘાત પાછળનું સચોટ કારણ શું છે.
અમદાવાદ ઝોનની FRC કમિટીએ ખાનગી શાળાઓની ફી જાહેર કરી છે. અમદાવાદ ઝોનમાં આવતા જિલ્લાની અંદાજે 5 હજાર કરતા વધુ શાળાઓની ફી જાહેર કરવામાં આવી છે. ખાનગી શાળાઓએ ફી વધારા માટે અરજી કરી હતી. જેમાંથી કેટલી શાળાઓને ફી વધારો અપાયો છે, તો કેટલીક શાળાઓને ફી વધારો આપવામાં આવ્યો નથી. જેને લઈને હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ મેદાને આવ્યું છે. ખાનગી શાળાઓને યોગ્ય ફી વધારો ન મળતા મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી રહી છે. દર વર્ષે 7 મોંઘવારી વધી રહી છે તો ફી સ્લેબમાં પણ વધારો કરવા માટે માંગ કરવામાં આવી છે. તેમજ ફી સ્લેબના વધારા માટેનો રિપોર્ટ શિક્ષણ વિભાગે અટકાવી રાખ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલોને યોગ્ય ફી વધારો ન મળતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ નારાજખાનગી શાળાઓએ ફીમાં વધારો કરવા માટે FRC કમિટી સમક્ષ દરખાસ્ત કરવી પડતી હોય છે. જે દરખાસ્તના આધારે ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ FRC દ્વારા ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો FRC ને યોગ્ય ન લાગે તો તેવી શાળાઓને ફી વધારો આપવામાં આવતો નથી. તેમજ ઘણી વખત તો કેટલીક શાળાઓની ફી પણ ઘટાડી દેવામાં આવતી હોય છે. જો કે હવે FRC એ જે પણ ફી વધારો આપ્યો છે કે જે પણ ફી ઘટાડો કર્યો છે તે તમામ વિગતો વેબસાઈટ પર જાહેર કરી છે. જેથી સ્કૂલોને યોગ્ય ફી વધારો ન મળતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ નારાજ થયું છે. 2017 બાદથી ફી સ્લેબમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં ન આવતા મોંઘવારીના આધારે ફી સ્લેબમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. '10 ટકાનો વધારો માંગ્યો તેની સામે 1 અથવા 2 ટકાનો વધારો અપાયો'રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, FRC વિભાગીય કચેરી દ્વારા 5840 જેટલી શાળાઓ એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરની શાળાઓની ફીની અરજી સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કેટલીક શાળાઓની ફી ઓછી કરવામાં આવી છે તો કેટલી શાળાઓએ 10 ટકાનો વધારો માંગ્યો હોય તેની સામે 1 અથવા 2 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. 'રિપોર્ટ શિક્ષણ વિભાગે કબાટમાં બંધ કરી દીધો છે'વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમારી માંગણી એવી છે કે 2017માં FRCનો કાયદો અમલમાં આવ્યો હતો. જેના 8 વર્ષ થયા તેમજ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ માને છે કે દર વર્ષે 7 ટકા મોઘવારી વધવી જોઈએ. હવે આઠ વર્ષમાં 56 ટકા મોઘવારી વધવી જોઈએ જેમાં પ્રાથમિકનો 15 હજાર ફીનો સ્લેબ 22 હજાર થવો જોઈએ, માધ્યમિકની 25 હજાર છે જે 37 હજાર થવો જોઈએ. આમ સ્લેબની વધારા માટેની જે સમિતિ રચના આવી હતી, તે રિપોર્ટ શિક્ષણ વિભાગે કબાટમાં બંધ કરી દીધો છે, કારણ કે સામે ચૂંટણી આવે છે, જેથી અમે મુખ્યમંત્રીને માંગ કરીએ છીએ કે અમારી ફીનો સ્લેબ સુધારી આપવામાં આવે અને જો તેવું થશે તો જ શાળાઓ સારી રીતે કામ કરી શકશે.
ગોધરામાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું:શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન અને લાયન્સ ક્લબ ગોધરાનો સહયોગ
ગોધરામાં શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા અને યુએસએ તથા લાયન્સ ક્લબ ગોધરાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો સેવાકાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ, નિરાધાર અને રસ્તા પર રહેતા લોકોને ઠંડીથી રાહત આપવાના હેતુથી આ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવસેવાની ભાવનાને આગળ ધપાવવા આ પહેલ કરવામાં આવી હતી.આ સેવાકાર્યમાં શ્રી સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ પ્રદીપભાઈ સોની અને લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ કેતકી સોનીના હસ્તે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. દાતાઓના સૌજન્યથી આ કાર્ય સફળ બન્યું હતું.આ પ્રસંગે પ્રમુખ પ્રદીપભાઈ સોનીએ જણાવ્યું હતું કે, “શિયાળાની ઋતુમાં ગરીબ અને નિરાધાર લોકો માટે એક ધાબળું પણ મોટી રાહત સમાન હોય છે. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા આવા સેવાકાર્યો અત્યંત જરૂરી છે.”સંસ્થાએ સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકો દ્વારા આ માનવતાભર્યા કાર્યને આવકાર મળ્યો હતો અને સંસ્થાની આ સેવાભાવી પહેલની સરાહના કરવામાં આવી હતી.
જ્યારે આખું સુરત શહેર 31St ડિસેમ્બર 2025ની મધરાતે નવા વર્ષ 2026ના જશ્નમાં ડૂબેલું હતું, ત્યારે શહેરના લિંબાયત અને સચિન વિસ્તારમાં બે અલગ-અલગ હત્યાની ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતાં. જોકે સુરત શહેર પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ આ બંને હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લીધા છે. આ બંને કેસમાં સૌથી સામ્યતા ધરાવતી બાબત એ છે કે, બંનેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોની સક્રિય સંડોવણી જોવા મળી છે. પોલીસે લિંબાયતમાંથી પાંચ રીઢા ગુનેગારો અને એક બાળ કિશોર, જ્યારે સચિનમાંથી એક આરોપી અને એક બાળ કિશોર મળી કુલ આઠ શખ્સોની ધરપકડ કરી છે. બનાવ-1 2020ના ખૂનનો બદલો 2025ની છેલ્લી રાત્રે લીધોલિંબાયતની આશાપુરી સોસાયટી પાસે રાત્રે 11.30 વાગ્યે હૃદયદ્રાવક ઘટના બની હતી. 24 વર્ષીય જયેશ રમેશભાઇ પટેલ (રહે. ડીંડોલી) તેના મિત્ર નિલેશ સાથે માં ભવાની કરિયાણા સ્ટોર પાસે ઉભો હતો. ત્યારે જ વિશાલ ગોરખ વાઘ અને તેની ગેંગ ત્યાં ત્રાટકી હતી. ચપ્પુનો જીવલેણ ઘા મારી પતાવી દીધોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ હત્યા પાછળ 5 વર્ષ જૂની અદાવત જવાબદાર છે. આરોપી વિશાલ વાઘને એવી શંકા હતી કે જયેશે વર્ષ 2020માં તેના મિત્રનું મર્ડર કર્યું હતું અને વિશાલની માતા સાથે પણ મારપીટ કરી હતી. આ વેરની અગ્નિમાં સળગતા વિશાલે પોતાના સાગરીતો સાથે મળીને જયેશ પર હુમલો કર્યો હતો. આરોપી ઓમ ગીરાસેએ જયેશની છાતીના જમણી બાજુએ ચપ્પુનો જીવલેણ ઘા મારી દીધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લિંબાયત મર્ડરમાં પોલીસે સગીર સહિત 6 શખ્સને ઝડપ્યાલિંબાયત પોલીસે વિશાલ ઉર્ફે ક્રિષ્ણા ગોરખ વાઘ (ઉ.વ. 32), જેની સામે અગાઉ ખૂન, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા 14થી વધુ ગુના નોંધાયેલા છે. ઓમ ભાઉસાહેબ ગીરાસે (ઉ.વ. 19) જેણે મુખ્ય ઘા માર્યો હતો, યશ ઉર્ફે ઈશુ વ્યાસ (ઉ.વ. 19), વેદાંત અનિલ નિકમ (ઉ.વ. 20), ભગવાન ઉર્ફે રાહુલ સુથાર (ઉ.વ. 19), એક સગીરને ઝડપી પાડયા છે. બનાવ-2 સચિનમાં પાન-ગુટકાના પૈસાના વિવાદમાં લોહી-લોહી.....બીજી ઘટના સચિન વિસ્તારના જુના સ્લમ બોર્ડમાં હનુમાનજીના મંદિર પાછળ બની હતી. અહીં સૂરજ ઉર્ફે દાદુ મુકેશભાઈ સુરવાડે નામના યુવાનની પાન-મસાલાના પૈસા જેવી નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી હતી. સગીર અને અન્ય એકને દબોચ્યોમૃતક સૂરજને સાહેદ સાહિદખાન ઉર્ફે બાબા સાથે પાન-ગુટકાના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે અને તેની સાથે રહેલા એક સગીરે ઉશ્કેરાઈ જઈ સૂરજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. શરીરના અલગ-અલગ ભાગે ઘા વાગવાથી સૂરજનું સ્થળ પર જ મોત થયું હતું. સચિન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કમલેશ અને હત્યામાં સામેલ સગીરને ડીટેઈન કરી લીધા છે. 'ગંભીર ગુનાઓમાં સગીરોની હાજરી એ ચિંતાનો વિષય'આ બંને કિસ્સાઓમાં એક સમાન પેટર્ન જોવા મળી છે, સગીરોનો ઉપયોગ. લિંબાયત અને સચિન પોલીસના જણાવ્યા મુજબ, ગંભીર ગુનાઓમાં સગીરોની હાજરી એ ચિંતાનો વિષય છે. લિંબાયતના કેસમાં પણ પાંચ પુખ્ત આરોપીઓ સાથે એક કિશોર સામેલ હતો, જ્યારે સચિનમાં પણ મુખ્ય આરોપીની સાથે કિશોરે ચપ્પુ ચલાવ્યું હતું. ગુનેગારો ઘણીવાર સગીરોને કાયદાની છટકબારીઓનો લાભ લેવા માટે પોતાની સાથે રાખતા હોય છે અથવા નાની ઉંમરના બાળકો વેર અને જુસ્સામાં આવી ગુનાખોરી તરફ વળી રહ્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓલિંબાયતનો મુખ્ય આરોપી વિશાલ વાઘ એક રીઢો ગુનેગાર છે. તેની સામે 2012થી અત્યાર સુધીમાં ખૂન, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર અને દારૂના અસંખ્ય કેસો નોંધાયેલા છે. તે બે વખત ‘પાસા’ હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો છે અને તડીપાર પણ રહી ચૂક્યો છે. તેમ છતાં તેની ગુનાખોરી અટકી નથી. તેવી જ રીતે 19 વર્ષીય ઓમ ગીરાસે સામે પણ અગાઉ મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ પણ વાંચો 31Stએ નશાખોરોને પકડવામાં વ્યસ્ત પોલીસના નાક નીચે હત્યા:ક્યાંક ગુટકાના પૈસા તો ક્યાંક જૂની અદાવતે જીવ લીધો, સુરતમાં બે યુવાનની કરપીણ હત્યાસુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 'થર્ટી ફર્સ્ટ'ની રાત્રિ લોહિયાળ સાબિત થઈ છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને નશાખોરો પરની વોચ વચ્ચે અસામાજિક તત્ત્વોએ બે યુવાનની નિર્મમ હત્યા કરી નાખતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના અતિરેકથી જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય પર થતા પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખી, હવે દેશભરમાં કુદરત આધારિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ દરમિયાન દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, બીજામૃત, જીવામૃત અને ઘનામૃતના ઉપયોગ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું વિશેષ મહત્ત્વ છે, જે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય બનાવી જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયરૂપ બને છે. દેશી ગાય આધારિત ખેતીનો મહિમા પ્રાકૃતિક ખેતીનો આધાર મુખ્યત્વે દેશી ગાય પર છે. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર અને છાસમાંથી તૈયાર થતી વિવિધ કુદરતી દવાઓ જમીનને જીવંત રાખે છે. જીવામૃત અને ઘનામૃતના નિયમિત ઉપયોગથી પાકની વૃદ્ધિ સારી થાય છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને જમીનની ગુણવત્તા લાંબાગાળે જળવાઈ રહે છે. પ્રાકૃતિક વસ્તુઓ અને વનસ્પતિઓની ઉપયોગિતા પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારના કેમિકલ વગર ઝાડના પાંદડા, બેસન અથવા દાળનો લોટ, ગોળ, લીમડાના પાંદડા, ગૌમૂત્ર, તાજી છાસ અને પાણીમાંથી તૈયાર થતું અમૃતપાણી પાકના સર્વાંગી વિકાસમાં ઉપયોગમાં લેવાય છે.પાકમાં થનારા હાનિકારક કીડા-કીટકોના નિયંત્રણ માટે પેન્ટાફાઈટર ઉપયોગી સાબિત થાય છે. ગૌમૂત્ર, કડવા લીમડા, તીખા મરચાં અને દેશી લસણમાંથી તૈયાર થતું ‘અગ્નિયાસ્ત્ર’ ઈયળો અને જીવાતોથી પાકનું અસરકારક રક્ષણ કરે છે. ડાંગર અને તુવેર જેવા પાકોના બીજને પડ આપવા માટે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે છે, જે અંકુરણ ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે.ટકાઉ ખેતી તરફ મજબૂત પગલાંપ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની લાંબાગાળાની ફળદ્રુપતા, પર્યાવરણનું સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્યમાં સુધારો શક્ય બને છે. સરકારના માર્ગદર્શન અને તાલીમથી હવે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જે ભવિષ્યમાં ટકાઉ કૃષિ વ્યવસ્થાનો મજબૂત આધાર બનશે.
સાળંગપુર પાસે કાર-ડમ્પર અકસ્માત:ગુંદા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં બે લોકોને ઈજા, પોલીસ તપાસ શરૂ
બરવાળાના સાળંગપુર નજીક એક i10 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સાળંગપુર ગુંદા ચોકડી પાસે બની હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ 3 જાન્યુઆરી,2026 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલમાં ક્લસ્ટર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં એસએસસી/એચએસસી/ ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ /આઈટીઆઈ /ડિપ્લોમાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ફીટર, વેલ્ડર, ઓપરેટર, વાયરમેન, એચ.આર. સેલ્સ, મેન્ટેનન્સ, બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, કન્ટેન્ટ ક્રિએટર, ફોટોગ્રાફર, કેશિયર, હાઉસ કીપિંગ, સ્ટોક ઇન્ચાર્જ, કાઉન્સેલર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતી મેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યાર બાદ તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ મામલે હવે રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે તેની ધરપકડ થવાની પણ શક્યતા છે. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું. બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. આ પણ વાંચો: 1500 કરોડના જમીનકૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR સૂત્રોએ માહિતી આપી ને ઈડી ત્રાટકીઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીનકૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાંEDને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે, જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે એ સહિતની વિગતો હતી. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયાનું લખાણઆ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી છે, જેમાં એમડીના 64 લાખ, સીબીના 60 હજાર, અશોકના 2 લાખ 83 હજાર, એચપીના 6 લાખ, રાકેશભાઈ 5000, આશિષભાઈના 70 હજાર એવી નોંધ કરવામાં આવેલી છે. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા. 5 લોકોનું નિવાસસ્થાન એપી સેન્ટરસમગ્ર તપાસનું એપી સેન્ટર આ 5 જણાનું નિવાસસ્થાન હતું. કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ED)ની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકી-બટકીના આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિની પૂછપરછ હાથ કરી હતી.
જૂનાગઢમાં તાજેતરમાં યોજાયેલા GETCO (GEB એન્જિનિયર્સ એસોસિએશન)ના 27મા ત્રિવાર્ષિક અધિવેશનને લઈને મોટો રાજકીય અને વહીવટી વિવાદ ઊભો થયો છે. ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આયોજનમાં સરકારી સાધનો, નાણાં અને માનવ કલાકોનો વેડફાટ થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સામાન્ય જનતા અને સરકારી બાબુઓ માટે કાયદા કેમ અલગ-અલગ છે? તેવા સવાલો સાથે અત્યારે જૂનાગઢનું વહીવટી તંત્ર ભીંસમાં મુકાયું છે. ‘જનતાને મહિનાઓ સુધી ધક્કા, યુનિયનને ગણતરીના કલાકોમાં બે-બે ફિડર’યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનો સામાન્ય નાગરિક જ્યારે નવા વીજ કનેક્શન માટે અરજી કરે છે, ત્યારે તેને સર્વે, કોટેશન અને લાખોની ડિપોઝિટ ભર્યા પછી મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ઘણીવાર તો છ મહિના પછી પણ કનેક્શન મળતું નથી. જ્યારે આ ખાનગી યુનિયનના કાર્યક્રમ માટે ગણતરીના સમયમાં બે-બે પાવર ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. એક જ જગ્યાએ બે ફીડરનો પાવર આપવો એ અશક્ય જેવી બાબત છે, છતાં અહીં નિયમો નેવે મૂકાયા છે. ‘કરોડોની ડિપોઝિટ અને સાધનોનો વપરાશ, કોણે ચૂકવ્યા પૈસા?’અધિવેશનના સ્થળ પર TC, DP, અનેક વીજ થાંભલાઓ અને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું જાળ બિછાવવામાં આવ્યું હતું. યુવરાજસિંહના મતે, આ પ્રકારના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ડિપોઝિટ ભરવી પડે છે. શું એસોસિએશને આ રકમ ભરી છે? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, અંડરગ્રાઉન્ડ 11kv કેબલિંગનો ખર્ચ, જે મીટર દીઠ આશરે 10,000 રૂપિયા થાય છે, તે કોના માથે ઉધારાશે? વળી, ટેકનિકલ નિયમો મુજબ જોઈન્ટને બદલે ડિયો મૂકવાના હોય છે, તેને બદલે સીધા જોઈન્ટ કરીને જોખમી રીતે બાયપાસ કામગીરી કરવામાં આવી છે. સરકારી ગાડીઓ અને ટેકનિકલ સ્ટાફનો દુરુપયોગવધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, જૂનાગઢ સર્કલ હેઠળની લગભગ 40 જેટલી સરકારી બોલેરો ગાડીઓ, જેમાં અધિક્ષક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરના વાહનોનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ આ ખાનગી કાર્યક્રમમાં બેરોકટોક થયો હતો. આ ઉપરાંત, PGVCL અને GETCO ના ટેકનિકલ સ્ટાફને, જેઓ AGVKS ના સભ્યો છે, તેમને ચાલુ ફરજ પર દેખાડીને આ ખાનગી મહોત્સવની સેવામાં જોડી દેવામાં આવ્યા હતા. આ રીતે સરકારી કર્મચારીઓના હજારો માનવ કલાકો એક પ્રાઈવેટ તાયફા પાછળ વેડફવામાં આવ્યા છે. RTI દ્વારા ખુલાસાની માગ સાથે યુવરાજસિંહના સણસણતા સવાલોયુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે સવાલો ઊભા કર્યા છે તે છે કે શું આટલા મોટા વીજ સેટઅપ માટે કાયદેસરની ડિપોઝિટ અને કોટેશનની રકમ ભરવામાં આવી છે?, શું હેડક્વાર્ટર છોડવા માટે અધિકારીઓએ પૂર્વ મંજૂરી મેળવી હતી? સરકારી વાહનોનો ઉપયોગ ખાનગી એસોસિએશનના કામમાં કરવાની મંજૂરી કોણે આપી? તેમણે ઉમેર્યું કે, સામાન્ય માણસને જો એક થાંભલો બે ફૂટ ખસેડવો હોય તો પણ પરસેવો છૂટી જાય છે, તો આ અધિકારીઓ માટે લાલ જાજમ કોના આશીર્વાદથી બિછાવવામાં આવી? એસોસિએશને આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યાંબીજી તરફ, GEB એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ 7,000 સભ્યો ધરાવતું રાજ્યનું રજિસ્ટર્ડ એસોસિએશન છે. અધિવેશન માટે વન વિભાગ, માર્ગ-મકાન, વીજ વિભાગ અને ફાયર સેફ્ટીના તમામ કાયદેસરના NOC અને મંજૂરીઓ અગાઉથી મેળવવામાં આવી હતી. સંસ્થા વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને નકારાત્મક માનસિકતા દર્શાવે છે. શું આ અધિવેશનના નામે સરકારી તિજોરી પર બોજ છે?એક ગંભીર આક્ષેપ એવો પણ છે કે, ઉર્જા મંત્રીની હાજરીને કારણે આ સમગ્ર ઈલેક્ટ્રીફિકેશનને કોઈ સરકારી પ્રોજેક્ટ (SI Project) ના નામે ખપાવી દઈને મફતમાં કરાવી લેવાની પેરવી કરવામાં આવી છે. પ્રજાની સુખાકારી માટે જે ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ, તેનો ઉપયોગ ખાનગી કાર્યક્રમમાં કરવો એ નિયમ વિરુદ્ધ છે.હાલમાં આ મુદ્દો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના વહીવટી વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રાજ્યમાં 4 જાન્યુઆરીના રવિવારના રોજ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની 323 જગ્યા પર ભરતી માટેની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5,222 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી લેવામાં આવનાર આ પ્રિલિમ્સ એક્ઝામમાં નેગેટીવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગામી સમયમાં મેઈન્સની એક્ઝામ આપશે. એક્સપર્ટ દિનેશ કણેતે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતું કે, તા.4 જાન્યુઆરીના GST વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટેની પ્રિલિમ્સ એક્ઝામ યોજાવાની છે. જેમાં MCQ આધારિત પેપર હશે. 200 માર્કના આ પેપરમાં નેગેટીવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવી છે. 0.33 માઇનસ સિસ્ટમ છે એટલે કે ત્રણ જવાબો ખોટા લખવામાં આવે તો સાચા જવાબો માંથી એક માર્ક કપાશે. તમામ જિલ્લા મથકોએ આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષામાં પાસ થતા ઉમેદવારો મેઇન્સ એક્ઝામ આપશે. રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી GPSC દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં પરીક્ષાનો સમય બપોરે 11 થી 1 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જોકે પરીક્ષાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા કેન્દ્ર પર એન્ટ્રી મેળવી લેવાની રહેશે. આ એક્ઝામમાં કોઈપણ પ્રકારની જેવી રીતે ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે માટેની એક બેઠક પણ ગઈકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં સરકારી કૃષિ રાહત પેકેજમાં આચરેલા કૌભાંડનો મામલો હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. જે VCE વિરુદ્ધ 9.50 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી, તેણે આક્ષેપોથી વ્યથિત થઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ આ VCE સારવાર હેઠળ છે, જ્યારે બીજી તરફ પરિવારે તેને નિર્દોષ ગણાવી આખું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. તો પરિવારે જયેશને ફસાવવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે, હાલ જયેશ સારવાર હેઠળ છે. મૃત ખેડૂતોના નામે બોગસ અંગૂઠા મારી ફોર્મ ભર્યા હતાંઓક્ટોબર-2025માં ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. ખજુરી હડમતીયા ગ્રામ પંચાયતના VCE જયેશ રામજીભાઈ ખંખાળીયાને આ સહાય માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જયેશે કુલ 30 જેટલી અરજીઓમાં ગંભીર ગેરરીતિ આચરી હતી. જે ખેડૂતો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તેમના નામે બોગસ અંગૂઠા મારી ફોર્મ ભર્યા હતાં. આટલું જ નહીં, પોતાના પરિવારના સભ્યો અને પત્નીના આધારકાર્ડ એડિટ કરીને જોડી કુલ 9,49,370/- રૂપિયાની સરકારી રકમ હડપવાનો કારસો રચ્યો હતો. ગ્રામ સેવક અને TDOની તપાસમાં આ ભાંડો ફૂટતા ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. VCEએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યોપોલીસ ફરિયાદ નોંધાતા જ VCE જયેશ ખંખાળીયાએ આઘાતમાં આવી જઈ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 'મારા દીકરાને જાણી જોઈને ફસાવવામાં આવ્યો'જયેશના પિતા રામજીભાઈએ આક્ષેપ કર્યો છે કે, મારા દીકરાને જાણી જોઈને ફસાવવામાં આવ્યો છે. જે ખેડૂતોના ફોર્મ ભરવામાં નામ આવ્યા છે તેમાં જયેશનું નામ ખોટું લેવામાં આવ્યું છે. મારા દીકરાએ કોઈ ગેરરીતિ કરી નથી, જે કંઈ નાની-મોટી ભૂલ થઈ હતી તે તેણે સામેથી સુધારી પણ દીધી હતી. છતાં તેને હેરાન કરવા માટે આ પગલું ભરવા મજબૂર કરાયો છે. 'કામના ભારણ હેઠળ પતિથી ભૂલ થઈ ગઈ હતી'જયેશના પત્ની સપનાબેને પણ આ મામલે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, ખેડૂત સહાયના ફોર્મ વધારે હોવાથી કામના ભારણ હેઠળ પતિથી ભૂલ થઈ ગઈ હતી. આ ભૂલ તેમણે સુધારી પણ લીધી હતી છતાં ગામના અમુક લોકોએ ખોટા આક્ષેપો કરી પોલીસ ફરિયાદ કરાવી છે. મારા પતિ નિર્દોષ છે અને તેમને આ કાવતરામાં ફસાવવામાં આવ્યા છે. 'મૃતકોના નામે પણ પૈસા ખાવાનો ખેલ' બીજી તરફ, ખજુરી હડમતીયા ગામના સરપંચ છગનભાઈ પરમારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ખેડૂતોને ખબર પડી કે તેમના નામે અન્ય કોઈ નાણાં ઉપાડી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ એકઠા થઈ TDOને રજૂઆત કરી હતી. તપાસમાં સાબિત થયું છે કે VCE દ્વારા મૃત્યુ પામેલા લોકોના નામે અને બીજાના આધારકાર્ડમાં છેડા કરી 9.50 લાખની ઉચાપત કરવાનો પ્રયાસ થયો હતો. 7/12 કોઈ બીજાના અને બેંક પાસબુક કોઈ બીજાની લગાડીને આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. 'સરકારી તિજોરીમાંથી પૈસા ચૂકવાય તે પહેલા જ કૌભાંડ પકડાઈ ગયું' તાલુકા પંચાયત કચેરીના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથિરીયાની સજાગતાને કારણે આ લાખોનું કૌભાંડ સરકારી તિજોરીમાંથી ચૂકવાય તે પહેલા જ પકડાઈ ગયું હતું. તપાસ સમિતિએ 20 જેટલા અરજદારોના રૂબરૂ નિવેદન લેતા જાણવા મળ્યું કે ઘણાએ તો અરજી જ કરી નહોતી. હાલ ભેંસાણ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડમાં VCE સિવાય અન્ય પણ સામેલ છે કે કેમ ? ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાઈઆ ઘટનાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ચકચાર જગાવી છે. એક તરફ ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથેની પોલીસ ફરિયાદ છે, તો બીજી તરફ પરિવાર તેને 'માનવીય ભૂલ' ગણાવીને ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરી રહ્યો છે. પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. આ પણ વાંચોજૂનાગઢમાં સહાયના નામે VCEએ લાખોનું કૌભાંડ આચર્યું:મૃતક ખેડૂતોના નામે ફોર્મ ભરી 9.49 લાખ હડપવાનો ખેલ રચ્યો, તપાસમાં 6 મૃતકો અને 12 ડબલ અરજીઓ મળતાં ભાંડો ફૂટ્યોજૂનાગઢના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે સરકારી ખેતી સહાયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં ગ્રામ પંચાયતના VCE જયેશ ખંખાળીયાએ વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતો અને બોગસ આધારકાર્ડના આધારે આશરે 9.50 લાખ રૂપિયા હડપવાનું ષડયંત્ર રચ્યું હતું.(વાંચો સંપૂર્ણ સમાચાર)
સુભાષબ્રિજ બાદ વધુ એક બ્રિજમાં ખામી:વાડજના દધીચિ બ્રિજ ઉપર સળિયા દેખાવવા લાગ્યા
રાજ્યમાં બ્રિજની કામગીરી માં હવે અવારનવાર ખામીઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી સામે આવી છે. 14 વર્ષ જૂના વાડજના મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજમાં જ્યાં સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના પાંચ મહિના પહેલા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ બ્રિજમાં આવી બાબતો ધ્યાનને લેવામાં ન આવતા બ્રિજ ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ શહેરના વાડજ વિસ્તારમાં મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ આવેલો છે.વર્ષ 2011માં આ ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 14 વર્ષે જુના ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે અને બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાની સાથે બ્રિજમાં વાઇબ્રેશન પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. શહેરનો સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે .જેના કારણે થઈ અને વાહનચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહન ચાલકોએ સુભાષ બ્રિજ બંધ થવાના કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાં આવવા- જવા માટે દધીચી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે. બ્રિજના ઉપરના ભાગે રોડ પરના સળિયા દેખાવા લાગ્યા છે. રોડની સરફેસ નીકળી ગઈ છે અને સળિયા દેખાઈ રહ્યા છે ત્યારે સુભાષ બ્રિજની ઘટના બાદ તમામ બ્રિજ પર તપાસ કરવાના આદેશ બાદ પણ જે બ્રિજ પર સૌથી વધારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે એવા દધીચિ ઓવરબ્રિજ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બ્રિજ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી નહીં અને સળિયા દેખાયા છે. સુભાષ બ્રિજને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને તેનો તમામ ટ્રાફિક વાડજના દધીચિ ફ્રિજ તરફ ડાયવર્ટ કર્યો છે. જેના કારણે રોજના એક લાખથી વધારે વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે આ બ્રિજ ઉપર સડિયા દેખાતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ફ્રીજ ઉપર વાઇબ્રેશનની માત્રા પણ ખૂબ વધારે થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. જ્યારે પણ ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે બ્રિજ પર જો કોઈ કૃપા હોય તો તેને સ્પષ્ટપણે બ્રિજનું વાઇબ્રેશન જોવા મળે છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા કરાયેલી આંતરિક બદલીઓના પગલે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવનિયુક્ત પી.આઈ. એસ.એન. ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે વિદાયમાન પી.આઈ. એચ.આર. ગોસ્વામીને ભાવભીની વિદાય અપાઈ હતી. તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. આ આદેશ મુજબ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીની બદલી પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ તાલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એન. ગઢવીને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરાયા છે. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધપાત્ર કામગીરી કરનાર પી.એસ.આઈ. ગોહિલને તાલાલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પી.આઈ. તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યક્રમમાં પી.એસ.આઈ. ગોહિલનું પણ અભિવાદન કરાયું હતું. આ બદલીઓના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં શહેરના હિન્દૂ-મુસ્લિમ સહિત વિવિધ સમાજોના આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો, સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં આશરે પોણા બે વર્ષ સુધી ફરજ બજાવનાર પી.આઈ. એચ.આર. ગોસ્વામીની કાર્યશીલતા, શિસ્તબદ્ધ કામગીરી અને લોકઅભિમુખ પોલીસિંગને દરેક સમાજના આગેવાનો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. વિદાય સમારોહ દરમિયાન પી.આઈ. ગોસ્વામીએ પોતાના ફરજકાળ દરમિયાન પોલીસ સ્ટાફ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને પત્રકારોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સહકારના કારણે જ કાયદો-વ્યવસ્થાની સુચારુ જાળવણી શક્ય બની હતી. નવનિયુક્ત પી.આઈ. એસ.એન. ગઢવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં પી.આઈ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે શહેરની શાંતિ અને સલામતી જાળવવા કાયદો-વ્યવસ્થાના અમલમાં સમાજના આગેવાનોનો મહત્તમ સહકાર અપેક્ષિત હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ત્રણેય અધિકારીઓને મોમેન્ટો તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ પરિવાર દ્વારા વિદાયમાન પી.આઈ. ગોસ્વામી તથા પી.એસ.આઈ. ગોહિલને શ્રીફળ અને શાલ અર્પણ કરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા 'રેલવન' (RailOne) એપ પર ટિકિટ બુકિંગ પર ૩ ટકા લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને 3 ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમો—જેમ કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરે—દ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર 3 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જોકે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્થિતિમાં પહેલાની જેમ જ ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના 14 જાન્યુઆરી 2026 થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાની અસરનું ફીડબેકના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્યક્ષ આર્થિક લાભ પણ મળશે.
ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનની રચના બાદ નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટે પ્રથમ વખત નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવાનો, તેનો વ્યાપ વધારવાનો અને કાર્યકર્તાઓની ગતિવિધિઓ અંગે ચર્ચા કરવાનો હતો. મંડળના પ્રમુખો અને જિલ્લાની ટીમ સાથે આગામી સમયમાં કેવી રીતે સાથે મળીને કામ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમને દક્ષિણ ઝોનના પ્રભારી બનાવ્યા બાદ આ તેમની દક્ષિણ ઝોનની પ્રથમ મુલાકાત છે, જેની શરૂઆત નવસારી જિલ્લાથી થઈ છે. આ પ્રવાસમાં તેમની સાથે પ્રભારી જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરાટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી પક્ષ નથી, પરંતુ તેના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહીને સમાજ સેવા કરે છે. તેમણે ઉમેર્યું કે આગામી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ માટે એક ઉત્સવ સમાન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે ગુજરાતની જનતાએ અત્યાર સુધી ભાજપને ભરપૂર પ્રેમ આપ્યો છે, તે જ રીતે નવસારી જિલ્લાની જનતા પણ આગામી ચૂંટણીઓમાં પક્ષને સંપૂર્ણ સમર્થન આપશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હૂમલા મામલે આરોપી જયદીપ ચાવડાનું પોલીસ સમક્ષનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે ચિઠ્ઠી લખાવવા ગયો હતો ત્યારે ડો. પાર્થ પંડ્યાએ મા સામે ગાળો આપી હતી અને પેટના ભાગે તેની પાસે રહેલ પેન મારી હતી. જેથી મેં સામે વળતો પ્રહાર કર્યો હતો. શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત તા.28 ડિસેમ્બરના રાત્રિના 1 વાગ્યા દરમિયાન દર્દીને બ્લડ ચઢાવવા બાબતે પરિચિતે ન્યૂરોસર્જન ડૉ. પાર્થ પંડ્યાને લાફા માર્યા હતા. ડોક્ટરને બેફામ માર માર્યાના CCTV સામે આવ્યા હતા જે ઘટના બાદ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી જોકે ગુરુવારે સાંજે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. જોકે આરોપી જયદીપ ચાવડાની ધરપકડ બાદ તેને પોલીસ સમક્ષ ડોક્ટર સામે આક્ષેપ કરતી કબૂલાત આપી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે નેપાળી પરિવાર ડોક્ટર પાસે ચિઠ્ઠી લખાવવા ગયો હતો. પરિવાર ડોક્ટર પાસે આજીજી કરતો હતો પરંતુ ડોક્ટર ચિઠ્ઠી લખી દેવા માટે તૈયાર ન હતા. જે બાદ મેં પણ ડોક્ટરને ચિઠ્ઠી લખી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમના દ્વારા મારી સાથે ગાળાગાળી કરવામાં આવી અને પેન મારવામાં આવી. જેથી મેં વળતા પ્રહાર સ્વરૂપે માર માર્યો હતો. CCTV ચેક કરશો તો હું બ્લડ બેંકમાંથી આવેલ કાગળ લઈને લખાવવા જતો હોય તેવું દેખાય છે. જોકે હવે સિવિલ અધિક્ષક દ્વારા નીમવામાં આવેલ તપાસ સમિતિની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યુ.
મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં તા. 01 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમી સત્રના પહેલા દિવસે અને મહાદેવ દેસાઈની જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ–2025 અંતર્ગત મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારથી સન્માનિત ભગવાનદાસ પટેલજીના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા તથા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ દરમિયાન અનુપસ્થિત રહેલા પત્રકારત્વ વિભાગ, કમ્પ્યુટર વિભાગ અને હિન્દી વિભાગના સ્નાતકો શ્રી રમેશ તન્ના, શ્રી ગોપી મણિયાર, શ્રી કલ્પેશ પરીખ અને શ્રી મફતભાઈ પટેલને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સુવર્ણચંદ્રક દાતાઓ તરીકે દર્શનાબેન વ્યાસ, આરતીબેન પટેલ તથા રશ્મિકાબેન શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના માધ્યમથી મહાદેવ દેસાઈના જીવનદર્શન, સમાજસેવા પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા તથા ગૂજરાત વિદ્યાપીઠની ગાંધિયન વિચારધારાને ઉજાગર કરવામાં આવી હતી.
રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે પણ હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકીહવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું જોર વધશે. વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં ઠંડી વધુ અનુભવાશે. ઠંડીનો પારો ગગડવાની શક્યતાગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગઈકાલના વરસાદી માહોલ બાદ હવે ફરી એકવાર ઠંડીનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છેઆજે એટલે કે, 2 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
જામનગરમાં જુમ્મા મસ્જિદ ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે એક આરોપીને ₹75,000 રોકડ સાથે ઝડપ્યો
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદની ઓફિસમાંથી ગત તા. 16 નવેમ્બર, 2025ની રાત્રિના ₹75,000ની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક આરોપીની અટકાયત કરી તેની પાસેથી ચોરાયેલી સંપૂર્ણ રકમ કબજે કરી છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. મસ્જિદ ટ્રસ્ટની મુખ્ય ઓફિસના કબાટમાંથી થયેલી આ ચોરી અંગે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે, નૂરી ચોકડી, અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે રોડ પરથી આરોપી મોહમ્મદહુસેન મોહમ્મદમુતકા સિદ્દીકી (ઉંમર 43, રહે. નાગપુર વોરાની ચાલી, રાજપુર, ગોમતીપુર, અમદાવાદ)ને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી થયેલા ₹75,000 રોકડા કબજે કર્યા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી મંદિરેથી ગઢડાથી દ્વારકા સુધીની સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ 350 કિલોમીટર લાંબી પદયાત્રામાં ભાવી લાલજી મહારાજ, સંતો-મહંતો અને હરિભક્તો જોડાયા છે. ભગવાનના રથની પૂજા-અર્ચના અને આરતી બાદ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પદયાત્રામાં એસ.પી. સ્વામી, શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી સહિત અનેક સંતો, હરિભક્તો અને સાંખ્યોગી બહેનો જોડાયા છે. આ યાત્રા ગઢડાથી પ્રસ્થાન કરી બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાંથી પસાર થઈ દ્વારકા પહોંચશે. રૂટ પર આવેલા ગામોમાં ગ્રામજનો દ્વારા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આયોજકોના મતે, દ્વારકા પહોંચતા સુધીમાં આ સંખ્યા લગભગ 13,000 સુધી પહોંચી શકે છે. પદયાત્રીઓની સુવિધા માટે 35થી વધુ ટ્રેક્ટર, 4 આઈસર વાહનો, 30થી વધુ કારો અને 5 પાણીના ટેન્કરો સહિતનો વાહન કાફલો સાથે રાખવામાં આવ્યો છે. પદયાત્રાનું રાત્રિ રોકાણ કરિયાણા, મોટા દેવળીયા, સુલતાનપુર, જેતપુર, ડુમિયાળી, બીલડી, રાણાવાવ, રાતડી, લાંબા બંદર અને આવડ માતાજી મંદિર પાસે (દ્વારકા રોડ) નિર્ધારિત કરાયું છે. પદયાત્રા સવારે ૯ વાગ્યે દ્વારકામાં પ્રવેશ કરશે. ગઢડા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારીએ જણાવ્યું હતું કે આ પદયાત્રા આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજીની આજ્ઞાથી સનાતન ધર્મના ઉત્કર્ષના હેતુસર યોજાઈ છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપેલી કુપ્રથાઓ દૂર કરવી, યુવાનોને વ્યસનથી દૂર રાખવા, 'બેટી બચાવો-બેટી પઢાવો'નો સંદેશ આપવો, વૃક્ષારોપણ અને ગૌરક્ષા કરવાનો છે. આ પદયાત્રાનું સમાપન ૧૨ જાન્યુઆરીએ દ્વારકામાં થશે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે, ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ અને દર્શન સાથે યાત્રા પૂર્ણ થશે.
નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા બે નબીરાઓએ પુરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં સામેલ ત્રણેય કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ જેટલા લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા હતા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે. 150 કિમીની સ્પીડે ડેડલી રેસમળતી માહિતી મુજબ, ન્યૂ યરની રાત્રે બે નબીરાઓ પોતાની લક્ઝરી કાર્સ- મહિન્દ્રા BE-6 (ઈલેક્ટ્રિક) અને BMW લઈને રસ્તા પર રેસિંગ કરી રહ્યા હતા. વેસુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી. આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કાર (નંબર: GJ 05 CR 2068) ને જોરદાર ટક્કર મારી હતી. કારના ફૂરચેફૂરચાઅકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે જોતા જ હૃદય ધ્રૂજી ઉઠે. ટક્કર લાગતાની સાથે જ સ્વીફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. 3 વીજપોલ જમીનદોસ્તBMW કારમાં એરબેગ સમયસર ખુલી જતાં તેના ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પુરપાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઈટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે મનપાના ત્રણ પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. કાપડ વેપારીની ધરપકડસમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર મહિન્દ્રા BE-6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે.
પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરા અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ વિતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતાં સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે, ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી. સગીરા કાકા સાથે સુરતમાં રહેતી હતીમળતી માહિતી મુજબ, ગુમ થયેલી દીકરીનાં માતા-પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આરોપીને ઝડપથી પકડી તેના સામે વિશેષ ગુનો દાખલ કરવાની માગ ઊઠી છે. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપસમાજના આગેવાનોનો આક્ષેપ છે કે, આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસે ગફલત દાખવી, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ કરવા એક થવા અપીલસૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય માટે સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી જવાબ માંગ્યા હતા. સાથે જ સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ થાય અને યુવાનો જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આરોપીની શોધખોળ ચાલુ હોવાનું PIનું રટણમોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઇ બી. બી. કરપડા દોડી આવ્યા હતા, જેને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. ચારે તરફથી સવાલોનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. પીઆઇએ પણ એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, આ મારી ટીમ શોધખોળ કરી રહી છે. જોકે આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની પણ પીઆઇ કરપડાએ કબુલાત કરી હતી. પોલીસની કામગારી સામે પાટીદાર સમાજે સવાલો ઉઠાવ્યાંપાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનુ અપહરણ થયાને 35 દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇની કાર્યવાહી સામે પાટીદાર સમાજ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ બાબતે અપરણ જેવી ઘટના હોવા છતાં પણ તાત્કાલિક કાર્યવાહી ન થઈ હોવાના કારણે સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. કરપડાનો ઉધડો લીધો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ દિવસે મંગળા આરતીથી લઈને સંધ્યા આરતી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 56 ભોગ અન્નકૂટ, કેક કટિંગ, મંદિર પરિસરમાં શોભાયાત્રા અને રાત્રે ગરબાનો સમાવેશ થાય છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહોત્સવને લઈને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ફૂલોથી પણ સુશોભિત કરાશે. અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આદ્યશક્તિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સવારે 6:30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીને 56 ભોગનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાશે. સવારે 8 કલાકે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપવામાં આવશે. આ પછી શરણાઈના સુમધુર સૂર સાથે મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા નીકળશે. સાંજે 7 કલાકે સંધ્યા આરતી બાદ આરતી મંડળ દ્વારા 51 કિલોની બીજી કેક કાપવામાં આવશે. રાત્રે 8 કલાકે માતાજીના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આ ઉપરાંત, હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલા અંબાજી માતાજીના મંદિરે પણ પોષી પૂનમના દિવસે 63મો પાટોત્સવ ઉજવવામાં આવશે. મંદિરના મહારાજ સિદ્ધાર્થ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નિમિત્તે સવારે દેવીયજ્ઞનું આયોજન કરાશે. માતાજીને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવશે અને સાંજે આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આશાસ્પદ વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
BMC ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો, સેંકડો કાર્યકરો સાથે બે નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા
BMC Election 2026: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર મુંબઈના મલાડ વિભાગમાં કોંગ્રેસના બે મહત્ત્વના હોદ્દેદારોએ પાર્ટીને અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના ઉત્તર મુંબઈ જિલ્લા મહાસચિવ અરવિંદ કાડ્રોસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન સેલના પ્રમુખ મુરુગન પિલ્લઈ શુક્રવારે વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં પક્ષ પલટો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં શુક્રવારે, 2 જાન્યુઆરીના રોજ આ બંને નેતાઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આશરે ₹46 લાખના ખર્ચે માર્ગ નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવ જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં તીનબત્તીથી પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તેમજ વડફળિયાથી આદિવાસી વિસ્તારને જોડતો માર્ગ નવીનીકરણ કરાશે. આ વિકાસકાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ અને ઉપસરપંચ સંજય સોલંકી,માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણ બાદ આ માર્ગો સુવિધાજનક બનતા ગામના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે. મહેમાનોએ વિકાસકાર્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વડોદરા શહેરમાં નવીન ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટર (બોક્સ કલ્વર્ટ) નાખવાની કામગીરીને કારણે શહેરના ભાયલી વિસ્તાર સહિતના અનેક મુખ્ય માર્ગો પર આંશિક કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન હેવી મશીનરી, મજૂરોની અવર-જવર અને મટિરિયલ સ્ટોરેજને કારણે આ રસ્તાઓ પર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને સુરક્ષા જાળવી રાખવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. SWC સર્કલથી ભાયલી ગામ તરફનો રસ્તો બંધSWC સર્કલથી ભાયલી ગામ થઈ લલીતા પાર્ટી પ્લોટ તરફના માર્ગ પર ડ્રેનેજ લાઇનના કામ માટે ભાયલી સ્મશાનથી ભાયલી ગામ થઈ લલીતા પાર્ટી પ્લોટ થઈ ભાયલી સ્ટેશન રોડ પર સોલાસીસ-2 સુધીના રસ્તાની ડાબી બાજુના કેરેજવે પર તમામ વાહનો માટે પ્રતિબંધ લાગુ કરાયો છે. કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ ભાગ બંધ રહેશે. જાહેર જનતાને વધુ ઊંડા ખાડાને કારણે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે. મનિષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફનો રસ્તો બંધવાસણા રોડ પર રાણેશ્વર મંદિરથી મનિષા સર્કલ સુધીના ભાગમાં ડ્રેનેજ કામગીરી ચાલુ છે. મનિષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફ આદિત્ય કોમ્પ્લેક્સ સુધીના રસ્તાની ડાબી બાજુના કેરેજવે પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. વાહનચાલકો જમણી બાજુના કેરેજવે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગોનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરી શકશે. ચકલી સર્કલથી રિલાયન્સ મોલ સુધીનો ડાબી બાજુનો રસ્તો બંધનટુભાઈ સર્કલથી પશાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધીના માર્ગ પર પણ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે. ચકલી સર્કલથી પશાભાઈ પાર્ક થઈ નટુભાઈ સર્કલ પાસેના રિલાયન્સ મોલ સુધીના રસ્તાની ડાબી બાજુના કેરેજવે પર વાહનો માટે પ્રતિબંધ છે. જમણી બાજુનો કેરેજવે અને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જણાવાયું છે. વાઘોડિયા જંકશન 10 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રહેશેશહેરના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવા બોક્સ કલ્વર્ટનું કામ હાથ ધરાયું છે. હાલના તબક્કામાં વાઘોડિયા જંકશન 3 જાન્યુઆરી, 2026થી આગામી 10 દિવસ સુધી તમામ પ્રકારના વાહનો તેમજ પદયાત્રીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. અન્ય જંકશનો પર તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. વાહનચાલકોએ પાસે રહેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. વડોદરા મહાનગરપાલિકા તંત્રએ જાહેર જનતાને આ નોટિસનું પાલન કરવા તેમજ કામગીરીમાં સહકાર આપવા નમ્ર વિનંતી કરી છે.
નવસારીમાં રખડતા ઢોર ઘરમાં ઘૂસતા નાસભાગ:પરિવાર બહાર દોડી ગયો, મહામહેનતે ઢોરને બહાર કઢાયા
નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે ઘરો સુધી પહોંચી છે. ગૌરીશંકર મોહલ્લામાં મોડી સાંજે એક આખલો અને ગાય પતરાવાળા એક ઘરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરમાં નાસભાગ મચી ગઈ હતી. સુનીતાબેનના ઘરમાં આ ઘટના બની હતી. ઢોર ઘરમાં પ્રવેશતા જ પરિવારના સભ્યો ભયભીત બનીને ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરિવારના સભ્યો અને આસપાસના લોકોએ મહા મહેનતે ગાય અને આખલાને ઘરની બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી શહેરીજનોમાં રખડતા ઢોર પ્રત્યેનો ભય વધુ વધ્યો છે. નવસારી શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. રસ્તાઓ પર ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો પણ સતત ભયભીત રહે છે. શહેરમાં રખડતા ઢોરને પકડવાની મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા અવારનવાર ઢોરોને પકડીને પાંજરાપોળમાં પૂરે છે પરંતુ ફરીવાર ઢોર રસ્તે દેખાય છે પાંજરાપોળમાં પણ ઢોરોની સંખ્યા વધી જતા ત્યાં પણ જગ્યા ન રહેતા મહાનગરપાલિકા હવે જલાલપોર તાલુકામાં નવા પાંજરાપોળ ની વ્યવસ્થા કરવામાં લાગી છે.
રાજકોટના અર્થતંત્રમાં અને લોકોની જીવનશૈલીમાં આવેલો ઉછાળો ઓટોમોબાઈલ સેક્ટરના આંકડાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજકોટ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, વર્ષ 2025ના છેલ્લા 9 મહિનામાં શહેરના રસ્તાઓ પર 42,000 નવા વાહનો દોડતા થયા છે. વાહનોની કુલ કિંમત રૂ. 1,063 કરોડથી વધુ છે, જેના કારણે રાજકોટ મહાપાલિકાને આજીવન વાહન વેરા પેટે રૂ. 21.71 કરોડની માતબર રકમ વાહન ખરીદનારાઓએ મનપાની તિજોરીમાં ઠાલવી દીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોના વેચાણ અને ટેક્સની આવક બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના આંકડાઓ મુજબ, વર્ષ 2024ના એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં રૂ. 963,49,37,325ની કિંમતના 37,928 વાહનો વેચાતા મનપાને રૂ. 20,06,19,621ની આવક થઈ હતી. તેની સરખામણીએ વર્ષ 2025ના સમાન સમયગાળામાં રૂ. 1,063,05,99,861ની કિંમતના 42,000 વાહનો વેચાયા છે. આમ, ગત વર્ષ કરતા આ વર્ષે 4,072 વાહનો વધુ ખરીદાયા છે અને મનપાની આવકમાં પણ રૂ. 1,65,05,740નો વધારો થયો છે. વાહનોના વેચાણમાં આશરે રૂ. 99.56 કરોડનો ઉછાળો જોવા મળ્યો છે, જે ઓટોમોબાઈલ માર્કેટમાં રહેલી તેજી દર્શાવે છે. વર્ષ વાહનની સંખ્યા કિંમત ટેક્સ 2024 37,928 963 કરોડ 20.06 કરોડ 2025 42,000 1,063 કરોડ 21.71 કરોડ વાહનોના પ્રકાર પર નજર કરીએ તો, 42,000 વાહનોમાં સૌથી વધુ 32,539 ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. મધ્યમ વર્ગ અને યુવા વર્ગમાં ટુ-વ્હીલરની માંગ અવિરત રહી છે. બીજી તરફ, ફોર-વ્હીલર સેગમેન્ટમાં પણ ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો છે. કુલ 6,978 કાર વેચાઈ છે, જેમાં 2,614 પેટ્રોલ સંચાલિત અને 2,533 CNG આધારિત કારનો સમાવેશ થાય છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને ઈંધણના ભાવને ધ્યાને રાખીને લોકો હવે CNG અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26થી 'એડવોલેરમ' (કિંમત આધારિત) પદ્ધતિ મુજબ વાહન વેરો વસૂલવાની પ્રક્રિયા અમલી બનાવવામાં આવી છે. આ નવી પદ્ધતિ હેઠળ વાહનની કિંમતના આધારે ટેક્સના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ, રૂ. 99,999 સુધીના વાહનો પર 1.5% ટેક્સ, રૂ. 1,00,000 થી રૂ. 7,99,999 સુધીના વાહનો પર 2.5% ટેક્સ અને રૂ. 8,00,000 થી વધુ કિંમતના પ્રીમિયમ વાહનો પર 3% લેખે વાહનવેરો વસૂલવામાં આવે છે. નવી કર પદ્ધતિને કારણે મોંઘા વાહનોની ખરીદી પર મનપાને વધુ ટેક્સ મળી રહ્યો છે. મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે વાહનવેરાની આવકનો કુલ લક્ષ્યાંક રૂ. 30 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેની સામે ડિસેમ્બર મહિના સુધીમાં જ રૂ. 21.71 કરોડની માતબર આવક પ્રાપ્ત થઈ ચૂકી છે. હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ત્રણ મહિના બાકી છે ત્યારે માત્ર રૂ. 8.29 કરોડની આવક બાકી છે. જે રીતે હાલમાં વાહનોની નોંધણી થઈ રહી છે તે જોતા તો મનપા આ લક્ષ્યાંક ખૂબ જ સરળતાથી પાર કરી લેશે તેમ મનાઈ રહ્યું છે. ઓટોમોબાઈલ નિષ્ણાંતોના મતે, વર્ષ 2026માં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેશે અને વેચાણના જૂના રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે.
ઐતિહાસિક કડાકા બાદ જોરદાર રિકવરી, ચાંદી ₹5,200થી વધુ ઉછળી, સોનું પણ મજબૂત
Gold and Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. ચાંદીમાં શાનદાર રિકવરી અગાઉના સત્રમાં મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે આવેલી વર્ધમાન ડેવલોપર્સની નવી બનતી વર્ધમાન પેરેડાઇઝ નામની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરોના મૃત્યુની ગંભીર દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે વર્ધમાન ડેવલોપર્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી બાંધકામ બંધ કરાવી દીધું છે. સાથે જ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલોપરને નોટિસ આપી છે. વર્ધમાન ડેવલપર્સે ગંભીર બેદરકારી દાખવતા કાર્યવાહી કરાઈ છે. આંબાવાડીમાં વર્ધમાન પેરેડાઇઝ સાઇટ પર અકસ્માતશહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળ વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઇઝ નામની 3-4 BHKની રહેણાંક બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. બાંધકામની આ સ્કીમમાં સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે મજૂરો પ્લાસ્ટર કરવાનું કામ કરી રહ્યા હતા. મજૂરો કામ કરતા હતા ત્યારે ઉપરથી 3 મજૂરો નીચે પડ્યાચોથા માળે પાલક ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી ત્રણ જેટલા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે એક મજૂરને ગંભીર રીતે ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પરિવારજનો રાજસ્થાનથી આવવા રવાનાબંને મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના છે. મૃતકના નામ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થયા હતા. એલિસબ્રીજ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સેફ્ટી વગર મજૂરો કામ કરતા હતાકન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોને સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા આવી કોઈ સેફ્ટી સાથે કામ કરાવાતું નહોતું. બાંધકામ પ્રવૃત્તિ દરમિયાન સલામતીના યોગ્ય પગલાં લીધા નહોતાનવી બનતી કન્સ્ટ્રકશન સાઈડ ઉપર બે મજૂરોના મોત મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી હતી. વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઇઝ નામની બાંધકામ સાઈટ પર બાંધકામની પ્રવૃત્તિ દરમિયાન સલામતીના યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. એન્જિનિયર, સ્ટ્રકચરલ એન્જિનિયર,ડેવલપર નોટિસ આપી ખુલાસો માંગ્યોબાંધકામ કરનાર-કરાવનાર દ્વારા ગંભીર બેદરકારી દાખવી હતી જેથી બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવાઈ હતી. બાંધકામને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યું છે. બાંધકામ સાઈટ પરના એન્જિનિયર, સ્ટ્રકચરલ એન્જિનિયર અને ડેવલપર તમામને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

28 C