SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો:બામણાની ડી.એમ.બી.પી. હાઈસ્કૂલમાં આયોજન; વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ

બામણા મુકામે શ્રી બામણા પુનાસણ મધ્ય સ્કૂલ કેળવણી મંડળ, મુંબઈ સંચાલિત શ્રી ડી.એમ.બીપી હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સાથે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાઓ માટે પ્રેરણા આપવાનો હતો. આ સમારંભની અધ્યક્ષતા ઉદ્યોગપતિ બીપીન કે. જોશી (મુંબઈ) દ્વારા કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના સામાજિક કાર્યકર નિલેશભાઈ જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કેળવણી મંડળના પ્રમુખ હરેશ ઉપાધ્યાયે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. સમારંભના અધ્યક્ષ બીપીન ઉપાધ્યાયે જણાવ્યું કે, જ્ઞાનપીઠ વિજેતા કવિ ઉમાશંકર જોશીના માદરે વતન બામણાની આ પવિત્ર ધરતી પર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવાનો અવસર ગૌરવપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે આ ભૂમિ પ્રતિભા અને સંઘર્ષનું પ્રતિક છે. મુખ્ય મહેમાન નિલેશ જોશીએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસનો સંદેશ આપતા કહ્યું કે, બોર્ડ પરીક્ષાથી ડરવાની જરૂર નથી. તેમણે પરીક્ષાને પોતાની ક્ષમતાનો પરિચય આપવાનો અવસર ગણાવ્યો. તેમણે ઉમાશંકર જોશીના વિચારો ટાંકીને શિક્ષણને માત્ર માહિતીનો સંચય નહીં, પરંતુ વ્યક્તિત્વનો વિકાસ ગણાવ્યો હતો. સામાજિક કાર્યકર અમિત કવિએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, મહેનત પછી આત્મવિશ્વાસ સાથે આગળ વધો. તેમણે પેપર કઠિન હોય તો ગભરાયા વિના શાંત મનથી વિચારવા, સમયનું યોગ્ય સંચાલન કરવા અને સકારાત્મકતા જાળવી રાખવાની સલાહ આપી. તેમણે ઉમેર્યું કે બામણાની માટી સંઘર્ષમાંથી સર્જન શીખવે છે. શાળા પરિવાર પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમનું સફળ આયોજન ઉપપ્રમુખ ઈશ્વર કે. પંડ્યા, મનોજ ઉપાધ્યાય, મંત્રી મહેશ જોશી, આચાર્ય અરવિંદ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાનો દ્વારા સંસ્થાને દાન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં મનોજ ઉપાધ્યાયે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાવસભર અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 2:27 pm

જામનગર સગીરા પાસે બિભત્સ માંગણી:આરોપીને 3 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ

જામનગરની વિશેષ અદાલતે 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને સજા ફટકારી છે. આરોપીને ત્રણ વર્ષની સખત કેદ અને દસ હજાર રૂપિયા દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઘટના વર્ષ 2023માં જામનગરના જનતા ફાટક પાસે બની હતી. સવારે 7:30 વાગ્યે ફરિયાદીની 10 વર્ષ અને દોઢ માસની પુત્રી શાળાએ જઈ રહી હતી. તે સમયે પ્રવીણ બાબુભાઈ મંડલી નામના ઈસમે સાયકલ પર તેનો પીછો કર્યો હતો. પ્રવીણે બાળાને રસ્તામાં રોકી, સાયકલ પરથી ઉતરી બિભત્સ માંગણી કરી હતી. ભયભીત બાળાએ ત્યાંથી નીકળતા એક વ્યક્તિને વાત કરી. તે વ્યક્તિએ આરોપી પ્રવીણને પકડી શાળાએ લઈ ગયો હતો. શાળામાં પ્રિન્સિપાલ અને બાળાના પિતાને જાણ કરવામાં આવી. 100 નંબર પર ફોન કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યારબાદ બાળાના પિતાએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યો. ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી જામનગરની વિશેષ પોક્સો અને રેપ અદાલતમાં રજૂ કરવામાં આવ્યું હતું. કેસની સુનાવણી દરમિયાન, જામનગરના આસિસ્ટન્ટ સરકારી વકીલ મુકેશભાઈ પી. જાનીએ સરકાર વતી કુલ 10 દસ્તાવેજી પુરાવા અને ભોગ બનનાર બાળા સહિત આઠ મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો આપ્યો. અદાલતે આરોપીને પોક્સો કલમ 12 હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરાય તો વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળાને સરકારની યોજના હેઠળ 2,00,000 રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 2:16 pm

ITRA જામનગર સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 3D સાયન્સ શો:રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ખાસ આયોજન; આવતીકાલે પણ ચાલુ જ રહેશે

ITRA જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય 3D સાયન્સ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ભારતીય ભૌતિકશાસ્ત્રી સી. વી. રમણ દ્વારા 28 ફેબ્રુઆરી, 1928ના રોજ 'રમણ ઇફેક્ટ'ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. તેમને આ ઐતિહાસિક શોધ બદલ 1930માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 10 ના અંદાજે 2500 વિદ્યાર્થીઓને આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મ શો ખાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ITRA, જામનગર દ્વારા વહન કરવામાં આવ્યો છે. ત્રણ દિવસીય આ 3D સાયન્સ ફિલ્મ શો કાર્યક્રમ શરૂ થયો છે અને તા. 20-02-2026 સુધી ચાલુ રહેશે. કાર્યક્રમનું આયોજન રાજમાતા ગુલાબકુનવરબા ઓડિટોરિયમ, ધન્વંતરી મંદિર, ડી.કે.વી. સર્કલ નજીક, જામનગર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે ITRA દ્વારા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રી એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના સહયોગથી યોજાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને તેમની શાળાએથી કાર્યક્રમ સ્થળ સુધી અને પરત શાળાએ પહોંચાડવા માટે જરૂરી પરિવહન સુવિધા પણ JMC (જામનગર મહાનગરપાલિકા) શૈક્ષણિક સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ITRA, જામનગરના ડેપ્યુટી ડિરેક્ટર (અંડર ગ્રેજ્યુએટ) ડૉ. વર્ષા આર. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં. ITRAના ડિરેક્ટર ડૉ. તનુજા નેસરીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડૉ. ગોપીનાથ અગ્નિહોત્રમ દ્વારા આ મહિના દરમિયાન આયોજિત વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 2:08 pm

પાલિકાએ ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બે ગાયો ખાબકી:ગૌરક્ષકોએ દોરડા બાંધી મહામહેનતે બચાવી, ખાડાને સુરક્ષિત રીતે કોર્ડન ન કરાતાં રોષ

નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ નીચે પાલિકા દ્વારા ખોદવામાં આવેલા આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં રખડતી બે ગાયો ખાબકી હતી. આ ખાડો ટોયલેટ બ્લોક બનાવવા માટે ખોદવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે કોર્ડન કરવામાં આવ્યો ન હતો. ગૌરક્ષકો અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ ગાયોને સુરક્ષિત બહાર કાઢી હતી. બીજી તરફ ઘટનાને પગલે મનપાએ તાત્કાલિક ધોરણે ખાડાની આસપાસ લોખંડના પતરા લગાવવાની કામગીરી હાથ ધરી છે. આજે 10 ફૂટ ઊંડા ખાડમાં બે ગાયો ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ શહેરના ગૌરક્ષકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. 10 ફૂટથી વધુ ઊંડા ખાડામાં પડેલી ગાયોને ગંભીર ઇજાઓ થઈ હતી. ગૌરક્ષકોએ ક્રેન અને દોરડાની મદદથી લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સમયસર મદદ ન મળી હોત તો પશુઓનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા ટોયલેટ બ્લોકના નિર્માણ માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ, આવા જોખમી સ્થળોને પતરા કે બેરિકેટ્સ લગાવીને કોર્ડન કરવા ફરજિયાત છે. જોકે, પાલિકાના અધિકારીઓએ આ અંગે કોઈ તકેદારી લીધી ન હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોએ પાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ તો પશુઓ પડ્યા, પરંતુ જો કોઈ બાળક આ 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. ગૌરક્ષકો અને લોકોના રોષને જોતા મહાનગરપાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા હતા. દુર્ઘટના બન્યા બાદ અને મીડિયામાં મામલો ઉછળતા, પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાની આસપાસ લોખંડના પતરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોરક્ષક સાજન ભરવાડ જણાવે છે કે, ગ્રીડ ઉપર નેશનલ હાઈવે નંબર 48ની નીચે મહાનગરપાલિકા દ્વારા આર્કિટેક્ટ અને એન્જિનિયરને કામ સોંપેલું છે. જ્યાં દસ દિવસથી આ ખાડા ખોદેલા છે. આજે એ ખાડામાં બે ગાયો પડી હતી. સલામતીના ભાગરૂપે, બેરીકેડ રૂપે માત્ર દોરી જ બાંધેલી હતી. આ બેરીકેડ તોડીને ગાય ખાડામાં પડી અને પગ ભાંગી ગયો, એની જવાબદારી કોની? આ તો ગાય પડી, માણસ પડે અને કઈ મોટી જાનહાનિ થાય તો એની જવાબદારી કોની?

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 2:04 pm

હિંમતનગર માર્કેટમાં શાકભાજીના ભાવ તળિયે:વાદળછાયા વાતાવરણથી કોબીજ, ફુલાવર, રીંગણ, ટામેટા પર અસર, ખેડૂતો મુશ્કેલીમાં

સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું સૌથી વધુ વાવેતર થાય છે અને અહીંથી શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. જોકે, હાલમાં વાદળછાયા વાતાવરણને કારણે શાકભાજીના ભાવમાં ભારે મંદી જોવા મળી રહી છે, જેનાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વર્તમાન ભાવ (20 કિલો દીઠ) ટામેટા: 50થી 60 રૂપિયા ફુલાવર: 100થી 200 કોબીજ: 100થી 150 રીંગણ: 80થી 120 જિલ્લામાં ફુલાવર, કોબીજ, રીંગણ અને ટામેટા સહિત અન્ય શાકભાજીનું મોટા પાયે વાવેતર થાય છે. વર્તમાન મંદીને કારણે ખેડૂતોને શાકભાજી લાવવા-લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. મોંઘા બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ અને પરિવહન ખર્ચ પણ વધુ હોય છે. વીણવાનો ખર્ચ, થેલાનો ખર્ચ અને પેટ્રોલ-ડીઝલ અથવા ભાડાના વાહનનો ખર્ચ ઉમેરતા ખેડૂતોને શાકભાજી હોલસેલ માર્કેટમાં લાવવું મોંઘું પડે છે. હિંમતનગરના માર્કેટમાં ફુલાવર, કોબીજ, રીંગણ અને ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિ સતત વાદળછાયા વાતાવરણને કારણે સર્જાઈ છે, અને અન્ય શાકભાજીમાં રોગચાળો વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વારંવાર વાતાવરણમાં પલટાને કારણે શાકભાજીના ભાવમાં આ ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ જે શાકભાજીના ભાવ પ્રતિ મણ 400 થી 600 રૂપિયા હતા, તે હાલ ઘટીને 100 થી 200 રૂપિયા થઈ ગયા છે. પ્રતિ કિલોની વાત કરીએ તો, ફુલાવર, કોબીજ, રીંગણ અને ટામેટા 5 થી 10 રૂપિયામાં મળી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી. ભાવમાં અચાનક આવેલી મંદીને કારણે હોલસેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. ખરીદદારોની અછતને કારણે વેપારીઓ પણ ન છૂટકે શાકભાજી મફતના ભાવે વેચી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 2:03 pm

પંચમહાલમાં જુનિયર ક્લાર્કની 93 જગ્યા ખાલી:કુલ 133માંથી 65ટકાથી વધુ જગ્યાઓ પર અભાવ

પંચમહાલ જિલ્લાના સરકારી વિભાગોમાં કર્મચારીઓની ભારે અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને વહીવટી અને હિસાબી કામગીરી સંભાળતા જુનિયર ક્લાર્કની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આના કારણે સરકારી કામકાજની ગતિ ધીમી પડી છે અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લામાં વહીવટી તંત્રના પાયાના ગણાતા વર્ગ-3ના મહેકમમાં જુનિયર ક્લાર્કની કુલ 133 જગ્યાઓ મંજૂર થયેલી છે. તેમાંથી હાલ માત્ર 40 જગ્યાઓ ભરેલી છે, જ્યારે 93 જગ્યાઓ ખાલી પડી છે. આ આંકડો કુલ જગ્યાઓના 65% થી વધુ છે. આ પરિસ્થિતિને કારણે, 133 કર્મચારીઓનું કામ હાલ માત્ર 40 હંગામી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે વર્તમાન સ્ટાફ પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. મહેસૂલી, વહીવટી અને હિસાબી વિભાગમાં કામોનો નિકાલ સમયસર ન થતા નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ને માંગણી પત્રક મોકલવામાં આવ્યું છે. હવે સરકાર દ્વારા નવી ભરતી પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવે છે અને આ ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:54 pm

ભરૂચમાં સોઈલ હેલ્થ કાર્ડની 100% કામગીરી પૂર્ણ:સ્વસ્થ જમીન સમૃદ્ધ ખેતીની ચાવી, આજે 'સોઈલ હેલ્થ કાર્ડ દિવસ'

આજે, 19 ફેબ્રુઆરીના રોજ, દેશભરમાં 'સોઈલ હેલ્થ કાર્ડ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તરફ વાળવાનો અને જમીનની ફળદ્રુપતા જાળવવાનો છે, જે કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનના પોષક તત્વોનું પરીક્ષણ કરવામાં આવે છે. આના આધારે, ખેડૂતોને કયા ખાતરનો ઉપયોગ કરવો અને કયા પાકનું આયોજન કરવું તે અંગે માર્ગદર્શન મળે છે. આ પ્રક્રિયાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન 23,364 માટીના નમૂનાઓનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે, જિલ્લામાં 100 ટકા સોઈલ હેલ્થ કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. આ યોજનાના સફળ અમલીકરણથી ખેડૂતોમાં જમીન પરીક્ષણ પ્રત્યે જાગૃતિ વધી છે અને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના પ્રયાસોને કારણે ભરૂચ જિલ્લો આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:38 pm

ગોધરાની બ્રાઈટમેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફ્રી હેલ્પલાઇન જાહેર:બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિષયવાર માર્ગદર્શન ઉપલબ્ધ

ગોધરાની બ્રાઈટમેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મફત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની મૂંઝવણો દૂર કરવા આ પહેલ કરાઈ છે. બ્રાઈટમેટ ઇન્સ્ટિટ્યૂટના નીલાંશુ સોનીએ જણાવ્યું કે, આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદ કરવાનો છે. વિદ્યાર્થીઓ આના દ્વારા વિષયલક્ષી પ્રશ્નોના નિરાકરણ મેળવી શકશે અને નિષ્ણાત શિક્ષકો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે. આ સેવાનો લાભ ધોરણ ૧૦ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ના સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓ લઈ શકશે. સંસ્થા દ્વારા વિષયવાર હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. ધોરણ ૧૦ (ગુજરાતી માધ્યમ) માટે ગણિત/વિજ્ઞાન માટે 9227028817 / 9227088817, અને ધોરણ ૧૦ (ઇંગ્લિશ માધ્યમ) માટે ગણિત/વિજ્ઞાન માટે 9724038817 / 9274738817 નંબર ઉપલબ્ધ છે. ધોરણ ૧૨ સાયન્સ માટે ફિઝિક્સ (9227138817), કેમિસ્ટ્રી (9274738817), બાયોલોજી (6352338817) અને મેથેમેટિક્સ (9724038817) ના નંબરો છે. જ્યારે ધોરણ ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ એકાઉન્ટ/સ્ટેટિસ્ટિક્સ માટે 9875138817 પર સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન દરરોજ સાંજે ૬:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. બ્રાઈટમેટ ઇન્સ્ટિટ્યૂટનો હેતુ ગોધરા અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો સુધારી જિલ્લાનું સ્તર ઊંચું લાવવાનો છે. સંસ્થાએ વિદ્યાર્થીઓને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:35 pm

મનોવિજ્ઞાનના બદલાતા વિશ્વમાં નવી ક્ષિતિજોનો ઉદય:ગુજરાત યુનિવર્સિટી ખાતે સાયબર ક્રાઈમ અને ન્યુરોસાયન્સ જેવા વિષયો પર તજજ્ઞોનું માર્ગદર્શન

ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી ડિપાર્ટમેન્ટ દ્વારા 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ 'THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY WORLD' થીમ પર એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કોન્ફરન્સનું આયોજન મનોવિજ્ઞાન ભવનના ડાયરેક્ટર ચારણ સાહેબ, કોર્ડીનેટર ડો. શૈલેષ રાવલ અને ડો. મુકેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર સંચાલન ડો. અરવિંદભાઈ વાઘેલાએ સંભાળ્યું હતું. સાયબર સિક્યુરિટી અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર કોન્ફરન્સના મુખ્ય મહેમાન અને અમદાવાદ ટ્રાફિક પોલીસના DCP ચિરાગભાઈ પટેલે વર્તમાન સમયમાં સાયબર સિક્યુરિટી અને સાયબર સાયકોલોજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ક્રાઈમ રોકવામાં મનોવિજ્ઞાનની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. બીજી તરફ, માનસિક આરોગ્ય વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ડો. અજય ચૌહાણ અને ડો. ચિરાગ પરમારે ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાનના આંતરસંબંધો સમજાવી, ભવિષ્યમાં કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ માટે ઉપલબ્ધ વિશાળ તકો વિશે વાત કરી હતી. ભારતીય મનોવિજ્ઞાન અને વ્યક્તિત્વ ઘડતર સાયકોલોજી બોર્ડના ચેરમેન નીતિન પેથાણીએ ભારતીય મનોવિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો અને તેના સાંપ્રત પ્રવાહો વિશે માહિતી આપી હતી. સી. યુ. શાહ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. કરસન ચોથાણીએ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં મનોવૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થીઓનું પ્રદાન આ કોન્ફરન્સમાં શૈક્ષણિક પાસું પણ મજબૂત જોવા મળ્યું હતું, જેમાં 90 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. આ સંશોધનોમાં મુખ્યત્વે ભારતીય યુવાનોના મનોવલણ, પ્રત્યક્ષીકરણ, માનસિક રોગોના કેસ સ્ટડીઝ અને કાઉન્સેલિંગ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાનના માધ્યમથી વર્તમાન સમસ્યાઓના નિરાકરણ માટે આ કોન્ફરન્સ એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:31 pm

કુખ્યાત ચિરાગ ગોટીનું 48 કલાકમાં બીજીવાર રિકન્સ્ટ્રકશન:જે ઘરમાં ઘૂસી માથે પિસ્તોલ મૂકી ધમકાવતો ત્યાં નાના ભાઈ સાથે દોરડા બાંધી લઈ જવાયો, ભોગ બનનાર યુવક પણ હાજર રહ્યો

સુરતમાં ટ્રાવેલર્સ પાસેથી ઉછીના લીધેલા રૂ. 18.75 લાખ પરત આપવાને બદલે તે ચાઉં કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી પાંચ હજાર પડાવી લેનાર માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સરથાણા પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે બંને ભાઈઓને દોરડાથી બાંધીને જે ઘરમાં ઘૂસી માથે પિસ્તોલ મૂકી ધમકી આપી ત્યાં લઈ જવાયો હતો. આ સમયે જે યુવકને ગાદલા પર ઉંધો સુવડાવી તાલિબાની સજા આપવામાં આવી હતી તે પણ હાજર રહ્યો હતો અને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. મહત્વનું છે કે, સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં જ ચિરાગ ગોટીને સાથે રાખી બીજીવાર રિકન્સ્ટ્રકશન કર્યું હતું. રિવોલ્વર તાકી પૈસા પડાવવાના ગુનામાં કાર્યવાહીમળતી માહિતી પ્રમાણે, ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી તેને ફસાવી દેનાર નિંગાળાના ચિરાગ ગોટી દ્વારા લોકો પર અત્યાચારના વીડિયો સામે આવ્યા બાદ તેની વિરુદ્ધ નોંધાવવા લાગેલી લાઇન વચ્ચે ઉત્રાણ, વીઆઇપી સર્કલ પાસે સિલ્વર પેલેસમાં રહેતા મુકેશ જીણાભાઇ ગજેરા (ઉ.વ. 48, મૂળ ધારગણી, ધારી, અમરેલી) એ ગત શુક્રવારે સરથાણા પોલીસ મથકે ચિરાગ અને તેના ભાઇ નિરાંત તથા સાગરીત યુવરાજ જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 2021માં કોરોના કાળ બાદ ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ નાણાંની જરૂરિયાત હોવાથી આ ટ્રાવેલર્સ પાસે આવ્યા હતા અને ચિરાગ ગોટીએ 18.75 લાખ તો યુવરાજે 1 લાખ ઉછીના લીધા હતા. અઠવાડિયામાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા બાદ બંનેએ પોત પ્રકાશ્યું હતું. ચિરાગ ગોટી, નિરાંત અને યુવરાજે કારમાં મુકેશ ગજેરાના ઘરે ધસી જઈ રિવોલ્વર તાકી ” આ કોઈની સગી નહિ થાય એમ કહી ધાકધમકી આપી રૂપિયા 5 હજાર પડાવી લીધા હતા. ચિરાગ અને તેના ભાઈ નિરાંતને દોરડા બાંધીને પોલીસ લાવીસરથાણા પોલીસે આ મામલે ગોટી બંધુઓનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ માંગતાં કોર્ટે બંનેને એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. આજ રોજ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાથી બાંધીને યોગીચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. જેમાં એક રૂમમાં ગાદલા પર ઊંધો સુવડાવે છે યુવકને તાલીબાની સજા આપવામાં આવી હતી તે પણ હાજર રહ્યો હતો. ચિરાગના આતંકનો ભોગ બનેલો યુવક રિકન્સ્ટ્રકશન સમયે હાજર રહ્યોપાર્થ મિયાણીએ જણાવ્યું હતું કે, જે આપ જોઈ રહ્યા છો વીડિયોમાં, જે વાયરલ થયેલો વીડિયો છે, એમાં જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે માર મારેલો છે એ હું ખુદ છું. અને આજે મેં બિલીમોરા ખાતે ફરિયાદ નોંધાવેલી છે એની સામે. આ જે વીડિયો છે એ દોઢ થી બે વર્ષ જૂનો છે પણ એ વખતે એણે મને એવો ધમકાવેલો, ડરાવેલો અને ધમકી આપેલી કે ભાઈ, તે જો આ મેં તને માર મારેલો એ વીડિયો તે કોઈને... મતલબ એ જાણ તે કોઈને કરી, અલ્પેશને કરી કે કોઈ ફેમિલીમાં કરી તો તને હું જાનથી મારી નાખીશ અને તારા ફેમિલીને હું હેરાન કરીશ. આ ડરના કારણે મેં આજ સુધી કોઈને વાત નથી કરેલી, મારા ફેમિલીમાં પણ વાત નથી કરેલી. આજે મારા ભાઈને જે NDPSના કેસમાં ફસાવેલો, જે બહાર આવેલું છે એ બધું એમના જ ફોનમાંથી આ બધા વીડિયો વાયરલ થયેલા છે અને એમાં પણ મારો વીડિયો હતો જે એમના જ ફોનમાંથી બહાર આવેલો છે ત્યારે મને થોડોક જુસ્સો આવેલો અને મેં પણ બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે મેં ફરિયાદ કરેલી છે. એનો લુક જે પહેલા હતો, જે માથા ઉપર વાળ નહોતા, એને દાઢી મોટી હતી... એ માણસોને ડરાવવા-ધમકાવવા માટે આવો જે લુક છે એ એણે ખુંખાર લુક રાખેલો હતો. જેનાથી નાના માણસો ડરી જાય અને ધમકી આપે તો એ ડરી જાય. આ રીતનો હતો. પણ પછી જ્યારે એ ફરાર થઈ ગયો આઠ મહિના, ત્યારે એણે આખો લુક ચેન્જ કરી નાખેલો અને એવું લાગે કે ના ભાઈ, આ માણસ ગુંડો નથી. એટલે એણે દાઢી કાઢી નાખેલી અને માથા ઉપર વાળ વધારી દીધેલા એક જ માંગ છે હવે બસ એને ગુજસીટોકનો કેસ લાગુ પડે અને એને ફાંસીની સજા થાય, થાય ને થાય. એ મારી એકની નહીં પણ પૂરા લોકોની માંગ છે, જે આપણે સુરતના લોકો છે, સમાજની માંગ છે. આ સમાચાર પણ વાંચોઃચિરાગ પર ચપ્પલ ફેંકાયા, ફાટેલાં કપડાં ને સુરતીઓનો ટપલી દાવ સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને 'તાલિબાની' સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો. તો બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ માનવ્યો હતો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગરા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:25 pm

રાજકોટ ડિવિઝનમાં રેલવેના ડબલ ટ્રેકની કામગીરી:સૌરાષ્ટ્ર મેલ અને ભાવનગર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રાજકોટ અને હાપાથી ટૂંકાવાઈ

રાજકોટ ડિવિઝનમાં જામનગર અને લાખાબાવલ વચ્ચે ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરીને વેગ આપવા માટે રેલવે તંત્ર દ્વારા બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરીના કારણે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી, 2026 દરમિયાન રેલ વ્યવહાર નોંધપાત્ર રીતે પ્રભાવિત થશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ આંશિક રદ, માર્ગ પરિવર્તિત અને રિશેડ્યુલ કરેલી ટ્રેનોની યાદી જાહેર કરી છે. આંશિક રીતે રદ કરાયેલી મુખ્ય ટ્રેનો ડબલિંગની કામગીરીને કારણે અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે: 25-02-2026 ના રોજ ભાવનગર-ઓખા એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 19209) અને મુંબઈ સેન્ટ્રલ–ઓખા સૌરાષ્ટ્ર મેલ (22945) રાજકોટ સ્ટેશન પર જ અટકી જશે, એટલે કે રાજકોટ-ઓખા વચ્ચે રદ રહેશે. શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22906) અને તિરુનલવેલી-જામનગર એક્સપ્રેસ (19577) જે 24-02-2026 ના રોજ ઉપડશે, તેમને હાપા સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. વળતી મુસાફરીમાં, 26-02-2026 ના રોજ ઓખા-ભાવનગર એક્સપ્રેસ (19210) અને ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (22946) ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. માર્ગ પરિવર્તન અને સમયમાં ફેરફાર મુસાફરોએ નોંધ લેવી કે 26-02-2026 ના રોજ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ (12905) તેના નિયમિત રૂટને બદલે જેતલસર-ભક્તિનગર થઈને દોડશે. ઉપરાંત, 24-02-2026 ના રોજ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 2 કલાક મોડી ઉપડશે. રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો બ્લોકને કારણે કેટલીક ટ્રેનો માર્ગમાં મોડી પડશે: ઓખા-ભાવનગર એક્સપ્રેસ (19210) ને 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ 25 મિનિટ માટે રોકી રાખવામાં આવશે. માતા વૈષ્ણોદેવી કટડા-જામનગર એક્સપ્રેસ (12478) ને 23 ફેબ્રુઆરીએ 30 મિનિટ રેગ્યુલેટ કરાશે. 26 ફેબ્રુઆરીએ ઓખા-બનારસ એક્સપ્રેસ (22969) ને જરૂરિયાત મુજબ માર્ગમાં વિલંબિત કરવામાં આવશે. રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર અપડેટ્સ ચેક કરી લે જેથી કોઈ હાલાકી ન ભોગવવી પડે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:15 pm

'પાટીદાર બહેનોને બ્યૂટીપાર્લરના ઘોડા ઉપડ્યા છે':જેરામબાપાએ કહ્યું- ફેશન મુક્ત બનો, કુદરતે આપેલા સૌંદર્યને સ્વિકારો, લગ્ન પહેલા 10 વાર જોવા જાવ તો પછી છૂટાછેડા કેમ?

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ગત 8 ફેબ્રુઆરીના રોજ 'કડવા પાટીદાર સમાજ સ્નેહમિલન' કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં સદ્વિચારના બીજ રોપવા, મહિલા સશક્તિકરણ, યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન અને સામાજિક કુરિવાજોને દૂર કરવા જેવા મહત્વના વિષયો પર સકારાત્મક વિચાર-વિમર્શ કરવા તેમજ શિક્ષિકા બહેનોના વયનિવૃત્તિ નિમિત્તે તેમનું સન્માન કરી તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જેરામબાપાએ સમાજમાં થતા છૂટાછેડા દુષણને દૂર કરી છૂટાછેડા ન જ થવા જોઈએ તેવો સંકલ્પ કરવા, ભાઈઓને વ્યસનથી દૂર રહેવા અને બહેનોને ફેશનથી દૂર રહેવા ટકોર કરી હતી. જ્યારે સાંસદ રૂપાલાએ બાળકોના ઉછેરમાં ધ્યાન આપવા અને તેમને પૂરતો સમય આપવા ટકોર કરી હતી. આપણા વડીલોએ જે પ્રણાલી પાડી તે આપણે ભૂલી ગયાઃ જેરામબાપાકડવા પાટીદાર સમાજના અગ્રણી જેરામબાપાએ સમાજને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા સમાજમાં ઋષિમુનિઓ અને આપણા વડીલોએ જે પ્રણાલી પાડી હતી તે હવે આપણે ભૂલી ગયા છીએ. દીકરીનો જ્યારે ઉછેર થાય ત્યારે દીકરી પહેલા મોળાક્ત રહે ત્યારથી એકટાણા કરવાનું, ભૂખ્યા રહેવાનું અને માઁ ગૌરી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત થાય છે. એમાંથી મોટી થાય અને જ્યા પાર્વતી વ્રત કરે, મોળાક્ત રહે એટલે મીઠા વગરનું મોળું ખાય. આ બધું દીકરી માવતરના ઘરે હોય ત્યારે ટેવ પાડે કારણ કે ખબર હોય કે દીકરી પારકા ઘરે જશે, ત્યાં રીત-રીવાજ અને રહેણીકહેણી અલગ હશે, આમાં સેટ થઇ જાય એટલે આ બધી પ્રણાલી પાડી હતી. નાનપણમાં ગીતો ગવાતા કેસરિયો વર દેજે, સસરો સુવાદીયો દેજે એટલે કે સસરા સ્વાદિષ્ટ ખાવાના શોખીન હોય એ ઘરમાં સારું ખાવાનું મળે. આ બધું આજે આપણે ભૂલી ગયા છીએ. શિક્ષણ આવ્યું એ સારી વાત છે, એનાથી જ સમાજનો વિકાસ થાય પણ એની સાથે-સાથે આ પણ જરૂરી છે. સંપત્તિ આવી, શિક્ષણ આવ્યું પણ વૈચારિક્તા ખામી આવતા સમાજને મોટું નુકસાન થાય છે. ‘સંતાનો પર 18થી 20 વર્ષના થાય ત્યાં સુધી આપણી પકડ તેના પર હોવી જોઈએ’આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, બહેનોને મારી પ્રાર્થના છે, આપણું સંગઠન મજબૂત છે. આપણે દાખલો બેસાડવો જોઈએ કે અમારા તાલુકામાં કોઈ છૂટાછેડાના કેસ થશે જ નહિ. આવો સંકલ્પ કરી બધાએ અહિયાંથી ઉભું થવું જોઈએ. ભાઈઓ અને બહેનો બધા જ આ સંકલ્પ લે... ખાસ બહેનોને પ્રાર્થના છે, દીકરો હોય કે દીકરી 18થી 20 વર્ષનો થાય ત્યાં સુધી આપણી પકડ તેના ઉપર હોવી જોઈએ. ‘સમાજ વ્યસનમુક્ત અને બાયું ફેશન મુક્ત થાય એ જરૂરી’ ગુરુકુળના વિદ્યાર્થી આજીવન નિર્વ્યસની રહી શકે તો તમે તો જનેતા છો, તમે માઁ થઈને આવું સંસ્કારનું સિંચન કેમ ન કરી શકો? તમે ચોક્કસ સિંચન કરી શકો છો, તમે કહો 20 વર્ષ સુધી તારા બાપને ભલે વ્યસન હોય, તારા ભાઈને ભલે વ્યસન હોય, તારે નથી કરવાનું એટલે ચોક્કસ નહિ થાય. સમાજ વ્યસનમુક્ત થાય એ જરૂરી છે અને બાયું ફેશન મુક્ત થાય એ જરૂરી છે. આખા કચ્છમાં ગમે તેના લગ્નમાં જમો એક જ પ્રકારનું મેનુ આવેઃ રૂપાલારાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પણ સમાજને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમાજમાં લગ્નમાં ખોટા ખર્ચા, સમાજમાં છૂટાછેડા, દીકરીના પૈસા લેવા આ બધા કુરિવાજો બંધ કરવા જોઈએ. સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવાનો છે, તોડવાનો નહિ. હું જાહેરમાં કચ્છના આહીર સમાજનું ઉદાહરણ એટલે જ આપું છું કે કચ્છનો આહીર સમાજ છે એ લોકોએ ઠરાવ કરી દીધો છે, એક જ તિથિના લગ્ન અને તેમાં મેનુ પણ એક જ આખા કચ્છમાં ગમે તેના લગ્નમાં જમો એક જ પ્રકારનું મેનુ આવે. એમાં સંભારો પણ વધારાનો ન આવે, એને સમાજ કહેવાય. ‘નાની-મોટી ખલેલ દૂર કરી સમાજને પાટા ઉપર ચડવાની કોશિશ જરૂરી’ આપણે પણ આપણા સમાજમાં આવી કોઈ નાની મોટી ચીજો દાખલ કરીને આજે વિશ્વ આંખમાં આપનો સમાજ પ્રખ્યાત છે, તો જે નાની-મોટી ખલેલ દૂર કરી ફરી પાટા ઉપર ચડવાની કોશિશ કરી તો પણ માતાજી આપણી સાથે રહેશે એવું મને લાગે છે. આપણા સમાજમાં આમ કરો, આમ ન કરો, આવા છે, તેવા છે નહિ પણ આપણો સમાજ છે, સમજી ફરીથી આપનો સમાજ આમ ચાલશે તેમ નાની-મોટી વાતોના નિર્ણય કરવાની આવશ્યકતા છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 1:06 pm

VNSGUમાં 400 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટસ સંકુલ:14,000ની ક્ષમતાનું ડે-નાઈટ ક્રિકેટ સ્ટેડિયમ અને હાઈ-પરફોર્મન્સ સેન્ટર, ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેના હિરક જયંતિ વર્ષના પર્વે દક્ષિણ ગુજરાતના રમતગમત જગત માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસમાં રૂ. 400 કરોડના ખર્ચે અત્યાધુનિક VNSGU સ્પોર્ટ્સ સંકુલના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર યુનિવર્સિટીના 2 લાખ વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની 1.5 કરોડની જનતા માટે રમતગમતનું નવું કેન્દ્ર બની રહેશે. ઓલિમ્પિક્સ 2036 અને કોમનવેલ્થ 2030નું વિઝનભારત જ્યારે 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારે અમદાવાદને 'ઓલિમ્પિક રેડી સિટી' બનાવવા માટે કમર કસી છે. આ વૈશ્વિક લક્ષ્યને ધ્યાનમાં રાખીને VNSGUએ દક્ષિણ ગુજરાતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક સ્પર્ધાઓ માટે સ્થાનિક ખેલાડીઓ અહીંથી જ તાલીમ મેળવીને વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ડે-નાઇટ ક્રિકેટ સ્ટેડિયમ અને વૈશ્વિક સુવિધાઓઆ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ યુનિવર્સિટીના વર્તમાન ક્રિકેટ ગ્રાઉન્ડને આશરે 14,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા ડે-નાઇટ સ્ટેડિયમમાં ફેરવવામાં આવશે. આ સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની પિચ તૈયાર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં અહીં મોટી ટૂર્નામેન્ટ્સ અને પ્રેક્ટિસ મેચોનું આયોજન થઈ શકે. આ ઉપરાંત, ખેલાડીઓ માટે બોક્સ ક્રિકેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે, જે સુરતના ઉભરતા ક્રિકેટરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પૂલ અને એથ્લેટિક ટ્રેકરમતગમતના માળખાકીય વિકાસમાં સ્વિમિંગ અને એથ્લેટિક્સનું વિશેષ મહત્વ છે. VNSGU ખાતે હાલના સ્વિમિંગ પૂલ ઉપરાંત એક નવો Olympic sizeનો સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવશે. આ પૂલમાં 300થી વધુ લોકો બેસી શકે તેવી પ્રેક્ષક ગેલેરી હશે. વધુમાં, યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડ અને એથ્લેટિક ટ્રેકને પણ આધુનિક ધોરણો મુજબ અપગ્રેડ કરવામાં આવશે, જેથી ખેલાડીઓ વાસ્તવિક ઓલિમ્પિક વાતાવરણમાં પ્રેક્ટિસ કરી શકે. પાંચ માળનું હાઈ-પરફોર્મન્સ સેન્ટરઇન્ડોર ગેમ્સ માટે આ સંકુલમાં 5 માળનું અત્યાધુનિક ‘High-Performance Center’ બનાવવાનું આયોજન છે. આ સેન્ટરમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, શૂટિંગ રેન્જ, ખો-ખો, વોલીબોલ અને પીકલબોલ જેવી વિવિધ રમતો માટે અલગ વ્યવસ્થા હશે. આ સેન્ટર ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટે ટેકનિકલ કોચિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્વાસ્થ્ય અને આધુનિક તાલીમ સુવિધાઓસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર મેદાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે અહીં આધુનિક જિમ, પ્રાથમિક આરોગ્ય જાગૃતિ કેન્દ્ર અને ફિઝિયોથેરાપીની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. બહારથી આવતા ખેલાડીઓ અને ટીમ મેનેજરો માટે આધુનિક આરામગૃહ પણ બનાવવામાં આવશે, જેથી તેઓ લાંબા સમય સુધી કેમ્પસમાં રહીને તાલીમ મેળવી શકે. નાણાકીય આયોજન અને સહયોગઆ રૂ. 400 કરોડના ભવ્ય પ્રોજેક્ટને સાકાર કરવા માટે યુનિવર્સિટી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય મદદ મેળવશે. આ ઉપરાંત, વિવિધ NGOs અને ઉદ્યોગગૃહો પાસેથી CSR ફંડ દ્વારા પણ રકમ એકત્ર કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં આ તમામ સુવિધાઓ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે યુનિવર્સિટીના સ્થાપનાના 61માં વર્ષની મોટી ઉપલબ્ધિ ગણાશે. દક્ષિણ ગુજરાત માટે સોનેરી તકવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં જે રમતગમતની સંસ્કૃતિ વિકસી રહી છે, તેમાં VNSGUનું આ યોગદાન સીમાચિહ્નરૂપ બની રહેશે. સાત જિલ્લાના 1.5 કરોડ લોકો અને 18 લાખથી વધુ સ્નાતકોના સહયોગથી આ સંકુલ ગુજરાતના ખેલાડીઓને મેડલ જીતવા માટે પ્રેરણા આપશે. 2036ના ઓલિમ્પિક્સમાં જ્યારે ભારતીય ધ્વજ લહેરાશે, ત્યારે તેમાં VNSGUના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થયેલા ખેલાડીઓનું મોટું પ્રદાન હશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આધુનિક જીમ સહિતની આરોગ્ય સુવિધાઓકુલપતિ કિશોરસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે, આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જે સાત જિલ્લાઓમાં ફેલાયેલી છે અને જ્યાં 1.5 કરોડની વસ્તી વસે છે, જેમાં 2 લાખથી વધુ વર્તમાન વિદ્યાર્થીઓ અને અત્યાર સુધીના 18 લાખથી વધુ સ્નાતકો જોડાયેલા છે, તેના 61મા વર્ષમાં પ્રવેશતા અમે VNSGU સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સ્વપ્ન સેવ્યું છે. આ પ્રોજેક્ટ અંદાજે 400 કરોડના ખર્ચે આયોજિત કરવામાં આવ્યો છે. આ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર ગેમ્સ માટે હાઈ-પરફોર્મન્સ સેન્ટર, આઉટડોર રમતો માટે બેથી વધુ મેદાનો અને 14,000 થી વધુની ક્ષમતા ધરાવતું ડે-નાઇટ ક્રિકેટ સ્ટેડિયમ હશે. ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગ પૂલ, એથલેટિક ટ્રેક અને હોકી ગ્રાઉન્ડ સહિતની આ તમામ સુવિધાઓ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.આ હેતુ માટે, અમે વિવિધ એનજીઓ (NGOs) તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી સહયોગ મેળવી રહ્યા છીએ. અમારું સ્વપ્ન દક્ષિણ ગુજરાતના 1.5 કરોડ લોકોમાં રહેલા ઉભરતા અને વર્તમાન રમતવીરોને કોચિંગ, પ્રેક્ટિસ અને આધુનિક જીમ સહિતની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, જ્યારે ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે અમારો ધ્યેય દક્ષિણ ગુજરાતના લોકો માટે આ આધુનિક રમતગમતની સુવિધાઓ સ્થાપિત કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:59 pm

'આપણા સમાજનો વ્યક્તિ ઘોડે ચડે તો તલવાર લઈને નીકળે છે':ચેલેન્જ કરું છું, આવતા સમૂહલગ્નમાં 11 હાથી પર વરઘોડિયાને બેસાડીશું, અમદાવાદના પોલીસ કોન્સ્ટે.નું નિવેદન

રાજ્યમાં દલિતોને ઘોડા પર બેસવા સામે થઈ રહેલા અત્યાચારને લઈ હવે દલિત સમાજ પણ જાગૃત થઈ ગયો છે. તેમાં પણ અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે ગામડાંઓમાં પણ મુદ્દે જવા માટે તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે, અમે પણ માણસ છીએ,તમે ઘોડે ચઢો તો અમારે નહીં ચઢવાનું? કોઈને ચેલેન્જ નથી આપતો, હું કોઈ સમાજના વિરુદ્ધમાં પણ નથી. આવતા સમૂહ લગ્નમાં 11 હાથી પર વરઘોડિયાને બેસાડીશું. તાજેતરમાં અમદાવાદ શહેરના બાપુનગરમાં ભીમરાવ વાચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ(BVCT) યોજાયેલા સમૂહ લગ્નમાં શહેરના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેતન પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલે સ્ટેજ પરથી ભાષણ આપ્યું હતું.જેમાં તેમણે ઘોડીએ ચઢવાના થઈ રહેલા વિરોધનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આપણે કોઈ સમાજ વિરુદ્ધ બોલવા નથી માંગતા પણ યાર અમે પણ માણસ છીએ, તમે ઘોડે ચઢો તો અમારે નહીં ચઢવાનું?. ‘ઘોડો એનો, શૂટ એના બેન્ડવાજાના પૈસા એના તો તને શું તકલીફ પડે છે’તમે થોડા સમય પહેલા એક ગામનો વિડીયો જોયો હશે. આપણે કોઈ સમાજને નથી કહેતા પણ અમુક વ્યક્તિ આપણો સમાજનો વ્યક્તિ ઘોડા પર ચડે તો એ તલવાર લઈને નીકળી જાય છે. અરે યાર ઘોડો એનો, શૂટ એના બેન્ડવાજાના પૈસા એના તો તને શું તકલીફ પડે છે. આપણે કોઈને ચેલેન્જ નથી આપતા આવો BVCTના 11 વરઘોડિયાને રોકીને જોઈ લો. પરંતુ તમારે શું કામ એ બધું કરવું છે.એ એની રીતે લગ્ન કરે તું તારી રીતે કર તું 10 ઘોડા મંગાવને કોણ રોકે છે? ‘અમે તમને રોકતા નથી અમને તમે શું કરવા રોકો છો’આપણે માંડ માંડ થોડા સ્ટેબલ થયા છીએ એ પણ નથી ગમતું. થોડા ઘણા એજ્યુકેશનમાં થોડા આગળ ગયા છે એ પણ નથી પસંદ. અમે તમને રોકતા નથી અમને તમે શું કરવા રોકો છો.અમે અમારી લાઈફ અમારી રીતે જીવીએ છીએ.ઘોડા શું હાથી મંગાવીશું. ‘11 હાથી પર વરઘોડિયા બેસાડીશું તાકાત છે અને કરીશું’જે લોકોને તકલીફ છે ને ભાઈ લાઈવ લઈ લેજો આ તો જે લોકોને તકલીફ છે એમને કહુ છું. નેક્સ્ટ સમૂહ લગ્નમાં અમારા 11 હાથી પર વરઘોડિયા બેસાડીશું તાકાત છે અને કરીશું હજુ પણ કહું છું. કોઈ સમાજ માટે આ શબ્દ નથી ફક્ત જાતિવાદી માનસિકતા ધરાવતા અમુક લોકો માટે છે આ ટીમ બીવીસીટી તરફથી ફાઉન્ડર તરીકે ચેલેન્જ કરું છું. કરીશ કરીશ ને કરીશ જ. ધારાસભ્ય મેવાણી સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યાંશહેરના બાપુનગર વિસ્તારમાં ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ સમૂહ લગ્ન યોજાયા હતા.આ સમૂહ લગ્નમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:58 pm

ગાંધીનગર મનપાના બજેટ પર કોંગ્રેસનો હોબાળો, VIDEO:કાર્યકર્તાઓને રોકવા વોટર બાઉઝરથી પાણીનો મારો ચલાવાયો, રૂ. 1918 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટને મંજૂરી આપવા માટે આજે મેયરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાય એ પહેલા ગાંધીનગર કોંગ્રેસના ગણ્યાગાંઠ્યા કાર્યકરો દ્વારા બજેટમાં ટેક્સ કે અન્ય લોકવિરોધી મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેના પગલે વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવવાની ફરજ પડતા ચાર-પાંચ કોંગ્રેસના કાર્યકરોએ ધુળેટીની માફક પાણીમાં પલળવાની મજા લીધી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. આખરે કોંગ્રેસના વિરોધ વચ્ચે સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મનપાનું વર્ષ 2026-27નું રૂ. 1918 કરોડનું બજેટ મંજૂરગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. ત્યારે એકતરફ સત્તાધારી પક્ષે ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકતા 1,918.35 કરોડના બજેટને મંજૂરી આપી છે, તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનું હોવાથી મનપા કચેરી છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. વોટર બાઉઝરથી પાણીનો મારો ચલાવી કોંગ્રેસ કાર્યકર્તાઓને રોકવાનો પ્રયાસસામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા બજેટના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની મનપા તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. મુખ્ય ગેટ પર સઘન સિક્યુરિટી ગોઠવીને દરેક વ્યક્તિનું આઈકાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તની સાથે ફાયર બ્રિગેડ દ્વારા 'વોટર બાઉઝર' પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયામહાનગર પાલિકા કચેરીના મુખ્ય ગેટ પર સિક્યુરિટી દ્વારા દરેક આવનાર-જનારના આઈકાર્ડ ચેક કરવામાં આવી રહ્યા હતા. પોલીસ ફોર્સની સાથે ફાયર બ્રિગેડના વોટર બાઉઝર પણ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના કે હંગામાને નિયંત્રિત કરી શકાય. ત્યારે ગાંધીનગર કોંગ્રેસના ગણ્યાગાંઠ્યા કાર્યકરોએ મહા નગર પાલિકા કચેરીમાં પ્રવેશવાની પેરવી કરાઈ હતી. પરંતુ કોંગ્રેસ મુક્ત મહાનગર પાલિકામાં કાર્યકરોને પ્રવેશવા દેવામાં આવ્યા ન્હોતા. જેના લીધે એક તબક્કે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે વોટર બાઉઝર ધ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ જોઈને ચાર પાંચ કાર્યકરો સામેથી ધુળેટીની માફક પલળવાની મજા લેવા પહોંચી ગયા હતા. કોર્પોરેશનમાં નવા ભળેલા ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ- શક્તિ પટેલઆ અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ શક્તિ પટેલે કહ્યુ કે, ગાંધીનગર કોર્પોરેશનનું જે બજેટ છે એ આજે સામાન્ય સભામાં રજૂ કરવાના છે. એના અનુસંધાનમાં અગાઉથી જ અમને બહાર કાઢવાનું એમનું ષડયંત્ર હતું. ગત બજેટમાં 'એક પેડ મા કે નામ' કરીને એમાં 20 કરોડની જે જોગવાઈ કરી હતી એમાં 2 લાખ અને 30 હજાર વૃક્ષો વાવવાનો તેમણે બધાને કીધું હતું, પણ હજુ સુધી કોઈ વૃક્ષો વવાયા નથી. 20 કરોડની જોગવાઈ એમની એમ છે.​અને સ્માર્ટ વિલેજ જે જાણે નવું એકદમ કોર્પોરેશનમાં ભળેલા ગામો છે એ ગામોને સ્માર્ટ વિલેજના નામે ચોમાસાની અંદર રોડ રસ્તાનું નહીં, ગટર ઉભરાઈ જવી એવી તમામ કોઈ સુવિધાઓ નહીં આપવી અને ખોટી ખોટી ફાળવણી થવી એ સ્માર્ટ વિલેજના નામે એક મીંડું છે કોર્પોરેશન. બજેટમાં સૌથી વધુ ભાર આધુનિક ટેક્નોલોજી પર મૂકાયોજ્યારે ગાંધીનગર મેયર મીરાબેન પટેલે કહ્યું કે, કોંગ્રેસનું કામ જ આ પ્રકારનું છે. સૌનો સાથ સૌનો વિકાસ તેમજ જન કલ્યાણને ધ્યાનમાં રાખીને આ બજેટ. બનાવવામાં આવ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટસ ક્ષેત્રે પણ કાર્ય કરવામાં આવશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ યુવાનો સહિત સૌ નગરજનોને ધ્યાનમાં રાખીને આ બજેટને બનાવવામાં આવ્યું છે આ બજેટની સામાન્ય મતે મંજૂરી પણ મળી છે. મહત્વનું છેકે, મ્યુનિસિપલ કમિશનરના મૂળ ડ્રાફ્ટમાં સ્થાયી સમિતિએ ₹15.27 કરોડનો વધારો સૂચવતા હવે બજેટનું કદ વધીને 1,918.35 કરોડ થયું છે. આ બજેટમાં સૌથી વધુ ભાર આધુનિક ટેકનોલોજી પર મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:52 pm

મોડાસાના રહેણાંક મકાનમાં આગ:ઘરવખરી બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ ઘટના માલપુર રોડ પર તાલુકા પંચાયત કચેરી સામે આવેલા હિંમતસિંહ ચૌહાણના મકાનમાં સવારે આશરે 8 વાગ્યે બની હતી. આગને કારણે મકાનમાં રાખેલી ઘરવખરી, કિંમતી વીજ ઉપકરણો અને મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ જોઈને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસરની કાર્યવાહીથી આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:49 pm

પાટણ જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધ્યો:274 શાળાઓમાં 57272વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવે છે; સરકારી યોજનાઓથી ગુણવત્તા સુધરી

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ, નવી શાળાઓની મંજૂરી અને માળખાગત સુવિધાઓના વિકાસને કારણે જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ જિલ્લામાં ૨૭૪ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ કાર્યરત છે, જ્યાં વોકેશનલ ટ્રેનિંગ અને જ્ઞાનસહાયકોની નિમણૂક દ્વારા શિક્ષણનું સ્તર સુધારવામાં આવ્યું છે. જિલ્લામાં હાલમાં સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓની કુલ સંખ્યા 274 છે. આ શાળાઓમાં 266 સરકારી શિક્ષકો અને 1125 જેટલા ગ્રાન્ટેડ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાની આ શાળાઓમાં કુલ 57272 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે જિલ્લામાં શિક્ષણની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરે છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ રોજગારલક્ષી શિક્ષણ મળી રહે તે માટે જિલ્લાની ૫૨ શાળાઓમાં ૧૦ પ્રકારના કુલ ૮૨ વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે. આ કૌશલ્ય વર્ધક અભ્યાસક્રમો માટે ૮૨ જેટલા વોકેશનલ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. શિક્ષણની ગુણવત્તા જાળવવા અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે જિલ્લાની વિવિધ શાળાઓમાં ૧૬૮ જ્ઞાનસહાયકોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની સુવિધા સુધારવા માટે દાંતીસણા તાલુકાના પાડલા અને સાંતલપુર તાલુકાના કોલીવાડા ખાતે આધુનિક સુવિધાઓ ધરાવતા નવા શાળા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લાભ ૧૬૩૨ જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન જિલ્લામાં વધુ ચાર નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં નાયકા (સમી), બોરુદા (સાંતલપુર), કમાલપુર (રાધનપુર) અને ઓઢવા (સરસ્વતી)નો સમાવેશ થાય છે. સરકારની વિવિધ સ્કોલરશીપ યોજનાઓનો લાભ પણ જિલ્લાના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજના હેઠળ ૧૩,૮૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ધોરણ ૯ થી ૧૨ ના ૨,૧૭૪ વિદ્યાર્થીઓને ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળી રહી છે. આ ઉપરાંત, નમો લક્ષ્મી યોજના અંતર્ગત ૨૪,૫૪૫ વિદ્યાર્થીનીઓને અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના ૬,૬૧૯ વિદ્યાર્થીઓને ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવી છે. જિલ્લા શિક્ષાધિકારી અશોકભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લો CGMS, CET અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અગ્રેસર રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:43 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરના ભાદરા ગામની મુલાકાત લેશે:બે દિવસીય 'ગ્રામ કલ્યાણલક્ષી' પ્રવાસમાં પ્રાકૃતિક ખેતી પર સંવાદ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20 અને 21 ફેબ્રુઆરી, 2026ના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની બે દિવસીય મુલાકાત લેશે. આ 'ગ્રામ કલ્યાણલક્ષી' પ્રવાસનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ વિકાસ અને લોકસંપર્કના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. પ્રવાસના પ્રથમ દિવસે, 20 ફેબ્રુઆરીના રોજ ભાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજે 4:00 કલાકે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરશે. તેઓ કૃષિ સખીઓ, ભાદરા તાલુકાના સરપંચો અને ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે, રાજ્યપાલ 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ ભાદરા ગામમાં વૃક્ષારોપણ કરશે. તેઓ ગ્રામ પંચાયત પાસેના પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાશે. આ પછી, તેઓ ગ્રામજનો સાથે 'ખાટલા પરિષદ' યોજશે અને રાત્રિ રોકાણ ગામની પ્રાથમિક શાળામાં કરશે. પ્રવાસના બીજા દિવસે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે રાજ્યપાલ ભાદરા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે. અહીં તેઓ કૃષિ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:42 pm

બનાસકાંઠા LCB એ ચોરીની બાઈક સાથે એક ઝડપ્યો:ડીસામાંથી ચોરાયેલી બાઈક સાથે આરોપીને દક્ષિણ પોલીસને સોંપ્યો

બનાસકાંઠા LCB પોલીસે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડીને આગળની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. LCB સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો. પોલીટેકનિકલ કોલેજ પાસે વાહન ચેકિંગ દરમિયાન, GJ-08-DE-9706 નંબરની મોટરસાયકલના ચાલકને રોકવામાં આવ્યો હતો. તેની પાસે વાહનના આધાર-પુરાવા ન હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ જણાવ્યું કે તેણે આ મોટરસાયકલ લગભગ એક વર્ષ પહેલા તેના મિત્ર કલામ જોગી પાસેથી વેચાણથી લીધી હતી. આરોપીની ઓળખ ઇકબાલભાઈ અજમતઅલી નજરઅલી શાહ (ઉંમર 32, ધંધો પીઓપી) તરીકે થઈ છે. તે પાલનપુર, જનતાનગર ટેકરાની નીચે, ગુલશનબેનના મકાનની બાજુમાં, પોલીટેકનિકલ કોલેજની પાછળ રહે છે. મૂળ તે ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના પળરૌના પોસ્ટ ચમરૂપુરનો રહેવાસી છે. પોલીસે ટીવીએસ કંપનીની રાઈડર મોટરસાયકલ, જેની કિંમત રૂ. 1,10,000/- છે, તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરી હતી. આરોપીને પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઇ) અને 106 મુજબ સ્ટેશન ડાયરીએ નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:40 pm

રાજસ્થાન પોલીસે માવલ ચેકપોસ્ટ પર 200 કિલો ગાંજો પકડ્યો:ગુજરાતમાં ઘૂસતાં કન્ટેનરમાંથી એકની અટકાયત

રાજસ્થાન પોલીસે ગુજરાતમાં પ્રવેશતા પહેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ પરથી 200 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થ એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો, અને પોલીસે કન્ટેનર ચાલકની પણ અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માવલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક કન્ટેનર પર શંકા જતાં તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા પોલીસને તેમાં મોટા પ્રમાણમાં ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી મળી આવેલા ગાંજાનું વજન કરાવતા તે કુલ 200 કિલો હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો ગુજરાતમાં સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ મામલે પોલીસે કન્ટેનર ચાલક દીપકકુમાર આહિર (રહે. બાલીછાપરા, બિહાર)ની અટકાયત કરી છે. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ગાંજો સપ્લાય કરનાર અને ગુજરાતમાં ખરીદનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:38 pm

જામસાહેબ શત્રુશલ્યસિંહજીના જન્મદિવસે નવાનગરનું રાષ્ટ્રગીત પ્રસ્તુત:પોલેન્ડના શરણાર્થીઓ માટે ગવાયેલા ઐતિહાસિક ગીતની પ્રસ્તુતિ, ધૂન ફિલ્મ 'સિકંદર'ના ગીત પર આધારિત

જામસાહેબ શત્રુશલ્યસિંહજીના જન્મદિવસ નિમિત્તે નવાનગર રાજ્યના ઐતિહાસિક રાષ્ટ્રગીત અને ઝંડાગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ગીતોનો ઇતિહાસ બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલો છે. સન 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જૂના નવાનગર (જામનગર) રાજ્યના રાજવી જામ સાહેબ જામ દિગ્વીજયસિંહજીએ પોલેન્ડના બાળકો અને સ્ત્રીઓને પોતાના 'બાલાચડી' ગ્રીષ્મ મહેલમાં આશરો આપ્યો હતો. આ મહેલ હવે સૈનિક સ્કૂલમાં પરિવર્તિત થયેલ છે. તે સમયે, બાલાચડી ખાતે સમૂહમાં બ્રિટીશ, પોલેન્ડ અને નવાનગર રાજ્યના રાષ્ટ્રગીતો ગાવામાં આવતા હતા. ગીતોની રચના ફિલ્મ 'સિકંદર'ના ગીતની ધૂન પર આધારિત આ અંતર્ગત, નવાનગર રાજ્યના રાષ્ટ્રગીત અને ઝંડાગીતોની ગ્રામોફોન કંપની (H.M.V., DUM DUM) દ્વારા રેકર્ડ બહાર પાડવામાં આવી હતી. આ રેકર્ડની બંને બાજુઓ પર અનુક્રમે 'JAMNAGAR FLAG SALUTATION' અને 'JAMNAGAR NATIONAL ANTHEM' શીર્ષકો હતા, જેના રેકર્ડ નંબર 15381-OML 1745 અને 15381-OML 1746 હતા. આ ગીતોની રચના તે સમયની પ્રસિદ્ધ ફિલ્મ 'સિકંદર'ના ગીત 'ઝીંદગી હૈ પ્યાર સે, પ્યાર મેં જીતાયે'ની ધૂન પર આધારિત હતી. સૂરસિંહજી શિવસિંહજી જાડેજાએ આ ગીતોની રચના કરી હતીરાજ્યના તત્કાલીન રેવન્યુ સેક્રેટરી, સૂરસિંહજી શિવસિંહજી જાડેજાએ આ ગીતોની રચના કરી હતી અને તેમાં રાજ્યના મિલિટરી બેન્ડનો ઉપયોગ કરાવ્યો હતો. જામ રણજીતસિંહજીએ સૂરસિંહજી જાડેજાને ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ઉચ્ચતમ કૃષિ વિજ્ઞાનની શૈક્ષણિક પદવીઓ હાંસલ કરાવી હતી. રેકર્ડ પરથી ઉતારેલા ગીતોના શબ્દોમાં, નવાનગરના રાષ્ટ્રગીત પહેલાં એક ઉદબોધન હતું. તેમાં સૌરાષ્ટ્ર દેશની પવિત્ર હાલાર ભૂમિના ગૌરવને સમજાવવામાં આવ્યું હતું. ચારસો વર્ષ પહેલાં જામશ્રી રાવલે જામનગર શહેરનો પાયો નાખી નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી, અને જામનગરના જામને આ વીરભૂમિના વિધાતા ગણાવ્યા હતા. 'દરેક બાળકને હાલારની પવિત્ર ભૂમિનું અભિમાન હોવું જોઈએ'ઉદબોધનમાં જણાવાયું હતું કે, જામશ્રી કૃષ્ણના વંશજ છે, જેમને હિંદના કરોડો હિંદુઓ ભગવાન તરીકે પૂજે છે. જામશ્રી રણજીતની ઉદાર પ્રેરણાથી હજારો બાળકો મફત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી રહ્યા છે. તેથી, નવાનગર રાજ્યના દરેક બાળકને હાલારની પવિત્ર ભૂમિનું અભિમાન હોવું જોઈએ. અન્ય દેશોની જેમ, આ ગીત ગાતી વખતે દરેક બાળકના હૃદયમાં હાલાર દેશ અને તેના ધણી જામસાહેબ બાપુ માટે જન્મભૂમિ પ્રત્યે સમર્પણની ભાવના હોવી જોઈએ. ‘શ્રી જામો જયતિ શ્રી જામો જયતિ શ્રી જામો જયતિ જય જય મહારાજ જય નમિતા, નમિતા આદર સહિતા, હિતારાજ શુભનિતા,જુગ જુગ જીવો પિતા,જામ શ્રી હાલાર હિતા’ ઝંડા ગીત ( રેકર્ડ નંબર 15381-OML 1745)જામ હમારા પ્રાણ હૈ,જામનગર કી શાન હૈ.હમકો યે અભિમાન હૈ, ઝંડા અમર શ્રી જામ કા.જામનગર મે રહેતે હૈ, ઉસકે ઘર મેં રહેતે હૈ, સાંજ સવેરે કહેતે હૈ,ઝંડા અમર શ્રીજામ કા.પ્રેમ સુધા બરસાને વાલા, વીરો કો હર્ષાને વાલા. રાષ્ટ્રભાવ બઢાને વાલા, ઝંડા અમર શ્રી જામ કા.દુનિયા મેં લેહરાયે હંમેશા, અપને સર પે છાયે હંમેશા, દુશ્મન કો ધડકાયે હમેશા, ઝંડા અમર શ્રી જામ કા.જામ હમારા પ્રાણ હે,જામનગર કી શાન હૈ, હમકો થે અભિમાન હૈ, ઝંડા અમર શ્રી જામ કા. વિગતોની સોનેરી જાળવણી કરવામાં આવીનવાનગર રાજ્યનું આ રાષ્ટ્રગીત જામસાહેબ અને નગરજનોનાં અખંડ, અતૂટ પ્રેમ અને વિશ્વાસનાં લાગણીભર્યા બંધનને શબ્દસહ સાર્થક કરે છે.સમય ગમે તેટલી કરવટ લે પણ પ્રેમનાં સંબંધોનો રંગ કાયમી જ રહે છે. જામનગરના વરિષ્ઠ ઇતિહાસવિદ હરિવદન શાંતિલાલ જોશી દ્વારા આ રેકર્ડનો અમૂલ્ય સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેને સંબંધિત વિગતોની સોનેરી જાળવણી કરવામાં આવી હતી. બાળકો જુસ્સાથી નવાનગરનું રાષ્ટ્રગીત-ઝંડા ગીત ગાતાજામનગરના અમુક વરિષ્ઠ નાગરિકના કહેવા અનુસાર, 1940 ના દાયકામાં બાળપોથી (હાલનું પ્રી પ્રાઈમરી) માં તત્કાલીન સમયના પાઠ્યપુસ્તકમાં આ રાષ્ટ્રગીત સમાવિષ્ટ હતું અને ખૂબ જ ભાવ, પ્રેમ અને જુસ્સાથી બાળકો નવાનગરનું આ રાષ્ટ્રગીત, ઝંડા ગીત ગાતા અને જામસાહેબ પ્રત્યેનો પોતાનો અમર પ્રેમ વ્યક્ત કરતા.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:37 pm

પ્રાંતિજ ટોલનાકા પાસેથી LCBએ દારૂ પકડ્યો:અર્ટીગા કારમાંથી ₹1.05 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાર સામે ગુનો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBએ કતપુર ટોલનાકા પાસેથી એક અર્ટીગા કારમાંથી ₹1,05,600 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કાર સહિત કુલ ₹6,10,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCB ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પ્રકાશભાઈ અને જીજ્ઞેશકુમારને મળેલી બાતમીના આધારે પ્રાંતિજ ટોલનાકા નજીક કતપુર ગામ જવાના નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ, હિંમતનગર તરફથી પ્રાંતિજ ટોલનાકા તરફ GJ 18 BM 6772 નંબરની સફેદ કલરની અર્ટીગા ગાડી આવતા તેને આડશ કરી રોકવાનો પ્રયાસ કરાયો હતો. ગાડીના ચાલકે ગાડી ધીમી કરી થોડે દૂર જઈ તેમાં બેઠેલા ચાલક અને બાજુમાં બેઠેલો અન્ય એક ઇસમ ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને ગાડીના ચાલકને પકડી પાડ્યો હતો, જ્યારે બીજો ઇસમ ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ ગાડીની તપાસ કરતા તેમાંથી ₹1,05,600 નો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી સહિત કુલ ₹6,10,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા ચાલક અને ફરાર થયેલા ત્રણ સહિત કુલ ચાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે પકડાયેલા આરોપીનું નામ જીતેન્દ્રકુમાર નાથુલાલ નાનુરામ ડામોર (મીણા), ઉંમર 35, રહે. સકલાલ, તા. ખેરવાડા, જિ. ઉદયપુર (રાજસ્થાન) છે. ફરાર થયેલા આરોપીઓમાં કાલુરામ આદિવાસી (રહે. ખેરવાડા), હરેશ (પાયલોટિંગ કરનાર ઇકો ગાડીનો ચાલક, પૂરા નામ-ઠામ નથી) અને અનિલભાઈ દાદુભાઈ બરંડા (રહે. અનેલા, થાના પહાડા, તા. નયાગાવ, જિ. ઉદયપુર) નો સમાવેશ થાય છે, જેણે બિયરનો જથ્થો ભરી આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:27 pm

'જૂનું મીટર પાછું લગાય, નહીં તો માર્યા વગર નહીં મૂકું':'આમને થાંભલે બાંધી દો'; ગ્રામજનોએ 20 સ્માર્ટ મીટર છીનવી MGVCLના કર્મચારીને ધમકી આપતો VIDEO VIRAL

ગુજરાતમાં વર્ષ 2024માં વીજ વિભાગની સ્માર્ટ મીટર યોજના લાગુ થયા બાદ હજી પણ ઘણી જગ્યાએ એનો વિરોધ થયો થઇ રહ્યો છે અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગતરોજ પંચમહાલ જિલ્લાના ગોધરાના અસારડી અને હાલોલના શિવરાજપુર ગામમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અસારડી ગામે સ્માર્ટ મીટર લગાવવા ગયેલી એજન્સીની ટીમ સાથે ગેરવર્તણૂક અને ગ્રામજનોએ ઉગ્ર બોલાચાલી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો શિવરાજપુરમાં ગામ બંધનું એલાન કરાયું હતું. એક મીટરે 80 રુપિયા કમિશન મળતું હોવાનો આક્ષેપગોધરા તાલુકાના અસારડી ગામની વાત કરીએ તો ગઇકાલે MGVCLની ટીમ ગામમાં સ્માર્ટ મીટર લગાવવા ગઇ હતી. આ દરમિયાન ગ્રામજનોએ ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે, ગ્રામજનો ઉગ્ર બોલાચાલી કરી MGVCLની ટીમને કહે છે કે તમને એક મીટરે 80 રુપિયા કમિશન મળે છે એટલે મીટર બદલો છે. 'આમને થાંભલે બાંધી દો, માર્યા વગર નહીં મૂકું'સોશિયલ મીડિયામાં વાયરસ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ગ્રામજનો મીટરને ફરીથી બદલવા ધમકી આપતા સવાલ કરે છે કે કોને પુછીને તમે મીટર બદલો છો? તમને ઓથોરિટિ કોણે આપી? આમને થાંભલે બાંધી દો.. આખા ગામમાં બદલેલા મીટર પાછા લગાવવા પડશે. અહીં ગામમાં કોઇને મોબાઇલમાં રિચાર્જ કરતા નથી આવડતું અને અહીં આવીને મીટર બદલે છો. અહીંથી નીકળો બીજી વાર ગામમાં દેખાયા તો મારીને મૂકીશું એવી ધમકી આપે છે. 20 જેટલા સ્માર્ટ મીટર છીનવી લીધાઆ ઘટનામાં MGVCLની ટીમના સભ્યો પાસેથી ગ્રામજનોએ 20 જેટલા સ્માર્ટ મીટર છીનવી લીધા હતા. આ મામલે MGVCLના ડેપ્યુટી ઈજનેરે કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યું છે કે, હસમુખસિંહ રાઠોડ નામના વ્યક્તિએ ટીમ સાથે ગેરવર્તણૂક કરી સરકારી કામમાં અડચણ ઊભી કરી હતી. તેણે ટીમને ધમકાવીને જણાવ્યું હતું કે, આ ગામમાં કોઈ સ્માર્ટ મીટર લગાવવાના નથી. દસ્તાવેજો ધરાવતી બુક પણ છીનવી લીધીઆ ઉપરાંત હસમુખસિંહ રાઠોડે બળજબરીપૂર્વક અને ગેરકાયદેસર રીતે ટીમ પાસેથી 20 નંગ સ્માર્ટ મીટર અને જરૂરી દસ્તાવેજો ધરાવતી પર્ફોમા બુક પણ છીનવી લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કર્યો હતો અને અન્ય ગામોના લોકોને પણ વિરોધ કરવા ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટના અંગે MGVCLના અધિકારીની ફરિયાદના આધારે કાકણપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 'લોકોને ભ્રમિત કરવાનું કાર્ય કર્યું'આ અંગે કાકણપુર પોલીસના PI એસ.આઈ. કામોળે જણાવ્યું કે, હસમુખ સિંહ રાઠોડ નામના ઈસમે MGVCL એજન્સીના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલર પાસેથી 20 નંગ મીટર ઝૂંટવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ અને વીડિઓ વાયરલ કરી લોકોને ભ્રમિત કરવાનું કાર્ય કર્યું હોવાના મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલના શિવરાજપુરામાં પણ ઉગ્ર બોલાચાલી હાલોલના શિવરાજપુરા ગામની વાત કરીએ તો ગામમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી MGVCLની ટીમને ગ્રામજનોએ કામગરી શરૂ કરવાથી રોકી દીધી હતી. ગામલોકોના વિરોધને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી અંગે કોઈ આગોતરી સૂચના કે જાહેર જાણ કરવામાં આવી નહોતી. અચાનક પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટીમ ગામમાં પહોંચતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોના મતે, પૂર્વ ચર્ચા કે સમજૂતી વગર આ પ્રકારની કામગીરી કરવી યોગ્ય નથી. પોલીસ બંદોબસ્ત વચ્ચે રકઝકવીજ કંપનીની ટીમ સાથે આવેલા પોલીસ બંદોબસ્તને જોઈ ગામલોકોએ વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષ વચ્ચે તીવ્ર બોલાચાલી અને રકઝક સર્જાઈ હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ગામલોકોએ એકજૂટ થઈ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દીધી હતી. વિરોધ કરતા ગ્રામજનોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલમાં વધારો થવાની ભીતિ છે. કેટલાક લોકોએ મીટરની પારદર્શિતા અને રીડિંગની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગામલોકોએ જણાવ્યું કે સરકાર અથવા વીજ કંપનીએ પહેલેથી જાગૃતિ કાર્યક્રમો યોજી સમજ આપવી જોઈએ. શિવરાજપુર ગામ બંધનું એલાનસ્માર્ટ મીટરના વિરોધમાં શિવરાજપુર ગામ ગઇકાલે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું. ગામની તમામ દુકાનો, હાટબજાર અને નાના-મોટા ધંધા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. ગામમાં એકતા દર્શાવવા વેપારીઓ અને યુવાનો પણ આગળ આવ્યા હતા. શિવરાજપુરમાં સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે પ્રશાસન અને ગામલોકો વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ આવે છે કે નહીં તે જોવાનું રહેશે. જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર શું છે?સ્માર્ટ મીટર અને સાદા મીટર વચ્ચે તફાવત એટલો છે કે, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાય છે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નથી પડતી. સાદા મીટરમાં બીલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે. સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી નથી શકાતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાય છે. સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો આક્ષેપસાદા મીટરમાં જો બીલ લેટ ભરીએ તો પણ અમુક સમય સુધી વીજળી ચાલુ રહે છે. પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જાય છે. સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકે છે, પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી નથી થઇ શકતી. સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર નથી પડતી, પણ સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રાખવો પડે છે. સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા નથી આવતી, પણ સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાય છે. સાદા મીટરથી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો છે, પણ સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સ્માર્ટ મીટરના ફાયદા- ગ્રાહક પોતાના વીજ વપરાશનું નિયમન કરી શકે છે, જેથી વીજળીની બચે છે.- ટાઈમ ઓફ ડેટથી ભવિષ્યમાં ગ્રાહકને ફાયદો થશે.- બિલ ભરવાની લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ.- મોબાઈલથી વીજ વપરાશ જાણી શકાય.- મોબાઈલ એપથી જુદી જુદી સર્વિસનો લાભ મળે. ગુજરાતમાં 1.64 કરોડ સ્માર્ટ મીટરનો ટાર્ગેટ- ડીજીવીસીએલ - 40,78,120- એમજીવીસીએલ - 32,99,991- પીજીવીસીએલ - 55,83,509- યુજીવીસીએલ - 35,25,480 આ પણ વાંચો: સુરતમાં મંજૂરી વગર સ્માર્ટ વીજ મીટર નાખતા મહિલાઓને અધિકારીઓને ખખડાવ્યાં

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:17 pm

અમેરિકા ભલે ગમે તે કહે... પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન

(IMAGE - IANS) India-Russia Relation: ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોને તોડવા માટે અમેરિકા ભલે પ્રયાસો કરી રહ્યું હોય, પરંતુ રશિયાને હજુ પણ તેના જૂના મિત્ર ભારત પર અતૂટ વિશ્વાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વિદેશ મંત્રાલય સતત એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, પરંતુ રશિયાએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

ગુજરાત સમાચાર 19 Feb 2026 12:17 pm

કુમકુમ પાલડી મંદિરમાં શુક્રવારે પાટોત્સવ ઉજવાશે:આનંદપ્રિયદાસજી સ્વામીના 84મા દીક્ષાદિને 15 ફૂટનો હાર ધરાવાશે

અમદાવાદના કુમકુમ પાલડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવાર, ૨૦ ફેબ્રુઆરી (ફાગણ સુદ ત્રીજ) ના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૮:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન, અર્ચન અને પુષ્પોથી અભિષેક કરાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ૮૪મા દીક્ષાદિનની પણ ઉજવણી કરાશે. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તેમને પોતાના પ્રથમ ત્યાગી પટ્ટશિષ્ય સંત તરીકે દીક્ષા આપી હતી. આ દીક્ષાદિન નિમિત્તે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૫ ફૂટનો વિશાળ હાર ધરાવી પૂજન કરવામાં આવશે. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ત્યાગ, સેવા અને સમર્પણની મૂર્તિ સમાન શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે રહીને સત્સંગના પ્રચાર-પ્રસાર માટે શૂન્યમાંથી અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે. તેમણે મણિનગરમાં કેરોસીનનો ડબ્બો કાપીને ખીચડી રાંધીને મંદિરનો પ્રારંભ કર્યો હતો. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ગામડે ગામડે ફરીને પોતાનું ૧૦૦ વર્ષનું જીવન અને ૮૦ વર્ષનું સાધુ જીવન સ્વામિનારાયણ સંપ્રદાયને સમર્પિત કર્યું છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સેવાના કાર્યો માટે આગળ આવીએ તો જ ખરા અર્થમાં તેમના દીક્ષાદિનની ઉજવણી કરી ગણાશે. પાટોત્સવ દરમિયાન શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ યોજાશે અને શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે. સાધુ પ્રેમવત્સલદાસજી ભારતીય સંસ્કૃતિમાં મંદિરો અને સંતોના પ્રદાન અંગે પ્રવચન આપશે. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 12:04 pm

4 સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા:નીલમબાગ પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ રેડ કરી 4 મહિલા સહિત 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો તથા મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે સ્પા મસાજ પાર્લર ની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાઓનો પર્દાફાશ કર્યો છે અને સ્પા સેન્ટરો માંથી મહિલાઓ અને યુવતીઓને મુક્ત કરાવી સ્પા ના હાટડા ચલાવતા 4 મહિલા અને 9 પુરુષ સહિત 13 શખ્સોઓ વિરુદ્ધ જુદી જુદી ચાર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જણાવા મળતી વિગતો અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મસાજ પાર્લરોની આડમાં અનૈતિક ઘંઘા કરી મહિલાઓ યુવતીઓ પૂરી પાડી ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની માહિતી એસપી નિતેશ પાંડેયને મળતા તેમણ ડામી દેવા સૂચના આપી હતી, જે અન્વયે નીલમબાગ પોલીસ સ્ટેશનના મહિલા અધિકારીઓ બીએમસી કચેરી સામે આવેલ શીવા બ્લેસિંગ કોમ્પલેક્ષમાં પહોંચી શોપ નંબર 224 માં ચાલતા પટાયા ફેમિલીઝ સ્પા માં રેડ કરતા આ મસાજ પાર્લર નો મેનેજર દાનિશ આરીફ સૈયદ ઉં.વ.19 તથા ગ્રાહક તરીકે આવેલ સંજય ઘનશ્યામ ગોહિલ ઉં.વ.35, યશ પ્રકાશ પટેલ ઉ.વ.22, અને મયુર કિશોર વાજા ઉં.વ.30 વાળાને ઝડપી લીધા હતા અને થાઈલેન્ડ પટાયા ની મહિલા મેનેજર નત્નીચા બુન્સન્સુન બુન્વાંગ્મા ઉં.વ.૩૧ ની પૂછપરછ કરતા તેના જણાવ્યું હતું કે, આ સ્વાનો સંચાલક જાહેર ઉસ્માન સૈયદ હોવાનું જણાવ્યું હતું અને બહારથી માણસોને બોલાવી મજબૂર મહિલાઓ-યુવતીઓને આર્થિક લાલચ-પ્રલોભનો આપી તેમની પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની માહિતી આપી હતી, આથી ગ્રાહક તરીકે આવેલા ચાર શખ્સો અને એક પરદેશી મહિલા તથા સ્થાનિક મેનેજરની ધરપકડ કરી તેમના વિરુદ્ધ તથા મસાજ પાર્લર માલિક વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. એવી જ રીતે આ જ કોમ્પ્લેક્સમાં શોપ નંબર 217 માં આવેલ ક્રિસ્ટલ ફેમિલી સ્પા માં રેડ કરી ફેમિલી સ્પાના મેનેજર સાહિલ ઉર્ફે ગોલ્ડન મહેબૂબ ડોડીયા ઉં.વ.24 રહે.કુંભારવાડા વાળાની પણ ગેરકાયદે મસાજ પાર્લર ની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવાના ગુનામાં ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભરતનગરમાં રહેતી શબાના ફારુક થીમ આ સ્પા સેન્ટર ચલાવે છે અને પોતાના આર્થિક ફાયદા માટે મજબૂર મહિલાઓ યુવતીઓને શોધી લાવી તેમની પાસે પુરુષ ગ્રાહકોને મોકલી વેશ્યાવૃતિ કરાવતી હોવાનું જણાવ્યું હતું, ઉપરાંત વાઘાવાડી રોડ પર આવેલ ઈવા સુરભી કોમ્પલેક્ષમાં શોપ નંબર 309 માં ચાલતા આયુર થાઈ ફેમિલી સ્પામાં રેડ કરી અજય અશોક મકવાણા ઉ.વ.25 રહે.ધોબી સોસાયટી વાળા ની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, શબાના ફારૂક થીમ નામની મહિલા આ મસાજ પાર્લરનું સંચાલન કરે છે અને મહિલાઓ યુવતીઓ પાસે ગેરકાયદે વેશ્યાવૃતિ કરાવી લાચાર મહિલાઓ અને યુવતીઓનો ગેરલાભ ઉઠાવે છે આથી નીલમબાગ પોલીસે અજય તથા શબના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એ જ રીતે આ જ કોમ્પ્લેક્સમાં આરોમાં ફેમિલી સ્પા મા રેઇડ કરી અનુ માયારામ ચૌધરી ઉં.વ.28 ની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પ્રકાશ ચૌહાણ શખ્સ આ સ્પાનો માલિક છે અને નિત્યરાજ પ્રકાશ ચૌહાણ અને અનુ ચૌધરી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો, પોલીસે ચારેય સ્પા માંથી અન્ય મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે અને રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ મસાજ પાર્લરોના માલિકોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 11:58 am

રાજકોટમાં વિદ્યાર્થી બની વિરોધ કરતા AAP ના કાર્યકર્તાઓની અટકાયત:દેશમાં 93 હજારમાંથી 19 હજાર શાળાઓમાં પૂરતા વર્ગખંડો નથી, ગુજરાતમાં 1 શિક્ષકવાળી 2936 શાળાઓ

દેશની 93000 સરકારી શાળાઓમાં 19000 થી વધુ શાળાઓમાં પૂરતા વર્ગખંડ નથી. જ્યારે ગુજરાતમાં 1 શિક્ષકવાળી 2936 શાળાઓ છે તો 337 સ્કૂલમાં 1 જ વર્ગખંડ છે. ભાજપ શાસિત આ કેન્દ્ર સરકાર શિક્ષણ પ્રત્યે ભારે ઉદાસીન છે ત્યારે આ મામલે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કરી રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. આ દરમિયાન AAP ના કાર્યકર્તાઓ વિદ્યાર્થી બન્યા હતા. તેઓ સ્કૂલ બેગ પહેરી આવ્યા હતા અને શિક્ષણની કથળતી પરિસ્થિતિ સુધારવા પ્લે કાર્ડ બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે ટીંગાટોળી કરી આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. AAP ની વિદ્યાર્થી પાંખ ગણાતી એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સના પ્રદેશ મહામંત્રી સુરજ બગડાએ જણાવ્યુ હતુ કે, ઉદાસીન નીતિઓને કારણે દેશમાં આશરે 93 હજાર જેટલી સરકારી શાળાઓને એક પછી એક બંધ કરવામાં આવી. આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત નુકસાનકારક છે. શિક્ષણને વ્યવસાયિક તેમજ ખાનગી બનાવવાની દિશામાં લેવાતા આવા પગલાં સામાજિક અસમાનતા વધારશે. હાલમાં ગુજરાતની અનેક સરકારી શાળાઓમાં વર્ષોથી મોટા પ્રમાણમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ છે, જેથી મોટાં પ્રમાણમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે, એક જ શિક્ષકને અનેક ધોરણો સંભાળવાની ફરજ પડે છે. આ ઉપરાંત જણાવ્યુ હતુ કે, વારંવાર શિક્ષકોને બિનશૈક્ષણિક કાર્યો સોંપવામાં આવે છે. જે ગુણવત્તાસભર શિક્ષણને અશક્ય બનાવે છે. ગુજરાતની આશરે 19 હજાર શાળાઓમાં પૂરતા વર્ગખંડો નથી. એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ભીડભાડમાં અથવા ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર છે - જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક સ્થિતિ છે. શું આટલા વર્ષોના શાસન પછી પણ આ છે ભાજપનું ગુજરાત મોડલ? વિરોધ પ્રદર્શન થકી આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP ટીમ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી કે, ગુજરાતમાં સરકારી શિક્ષકોની ઘટ તાત્કાલિક ભરતી દ્વારા ભરવામાં આવે, શાળાઓમાં નવા વર્ગખંડો અને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 11:55 am

સુરતમાં સસ્તાદરના અનાજ સગેવગેનું કૌભાંડ:ડભોલીનો અનાજ ચોર દુકાનદાર અગાઉ પણ હાથ કાળા કરી ચૂક્યો છે, પરવાનો ફરી કાર્યરત કરતાં ફરી સરકારી અનાજ વેચવાનું શરૂ કરી દીધું

સુરતમાં ડભોલી ખાતે આવેલી K-40 નંબરની સસ્તા અનાજની દુકાન પર જનતા દ્વારા અચાનક રેડ કરવામાં આવતાં અંદાજિત 178 ગુણી અનાજ સ્થળ પરથી મળી હતી. જો કે, વિસ્તારની લોકચર્ચા મુજબ ત્યાં 1200થી 1300 ગૂણી જેટલો જથ્થો હાજર હતો. ઉચ્ચ અધિકારીઓ સમયસર સ્થળ પર ન પહોંચતા મોટો જથ્થો દ્વારા સગેવગે કરી દેવાયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સસ્તાદરનો દુકાનદાર અગાઉ પણ પુરવઠા વિભાગની અડફેટે ચઢી ચૂક્યો છે. અગાઉ પણ ગરીબોના હક પર તરાપ મારીને સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાઈ ચૂક્યો છે. ફરી વખત એજ દુકાનદાર સરકારી અનાજ વગે કરતા રંગેહાથે ઝડપાતા હવે પુરવઠા વિભાગ તેનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કે નહીં તે જોવું રહ્યું. બીજી તરફ અનાજમાફિયાઓના પગતળે રેલો આવતા ટેમ્પો ડ્રાઈવર, નાકજી રબારી, હિમાશું અને કૈલાશ મોબાઈલ બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ડભોલીના અનાજ કૌભાંડમાં કે-40 નંબરની સસ્તાદરની દુકાનના સંચાલક હેમલતા અમૃત પટેલની દુકાનમાંથી સરકારી અનાજ વગે થતું હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે તપાસ કરતા ત્યાંથી ઘંઉની 168 ગુણી અનાજ મળી આવી હતી. આ જથ્થો હાલ સિઝ્ડ કરવામાં આવ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુકાનના સ્ટોકનો ટાળો મેળવવામાં આવ્યો હતો. દરમિયાન દુકાનમાંથી અનાજનો જે જથ્થો ફાળવવામાં આવ્યો તેનાથી વધુ જથ્થો મળી આવ્યો છે. આગામી દિવસમાં દુકાનદારની સાથે અનાજના ગોડાઉન ઉપર પણ તપાસ હાથ ધરાશે. એક ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો છે. આ ટેમ્પોના જીપીએસની તપાસ પણ કરાશે. તપાસ કરીને આગામી દિવસમાં પુરવઠા અધિકારીને રિપોર્ટ સબમિટ કરાશે. આ રિપોર્ટના આધારે સસ્તાદરના દુકાનદાર સામે આગળની કાર્યવાહી કરાશે. જોકે, કે-40 નંબરનો દુકાનદાર અગાઉ પણ સરકારી અનાજ બારોબાર વગે કરતા ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે પુરવઠા અધિકારી ડભોલીના દુકાનદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરશે તે અગાઉની જેમ પરવાનો સસ્પેન્ડ કરીને સમગ્ર મામલા પર ઠંડું પાણી રેડી દેવામાં આવશે તે આગામી દિવસોમાં માલૂમ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અનાજ ચોરીનો પર્દાફાશ થતાં ટેમ્પો ડ્રાઈવર તેમજ અનાજમાફિયા હિમાંશુ અને કૈલાશ મોબાઈલ ફોન બંધ કરી ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. જો કે આગામી દિવસ કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસનો રેલો નવાગામ ગોડાઉન સુધી પહોંચશે. ગોડાઉનના જથ્થાની પણ ખરાઈ કરાશે. તેમજ કસૂરવાર સામે કાયદેસરના પગલાં ભરાશે. ગોડાઉન પરથી બારોબાર અનાજનો જથ્થો ડભોલી લઈ જઈ સગેવગે કરી દેવામાં આવતો. હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ગેરવ્યવસ્થાને ઓપરેટ કરનાર તરીકે કૈલાસ પોટલા ઉર્ફે તેપ્પન, નાકજી રબારી, હિમાંશુ અને રાહુલ નામન વ્યક્તિઓનાં નામ ચર્ચામાં છે. સાથે સાથે નવાગામ ગોડાઉનના મેનેજરની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં નવાગામ ગોડાઉનનું ટેન્ડર અર્જુન બી. લિંકા ના નામે હોવાનો ઉલ્લેખ છે. કેટલાક દુકાનદારો પાસેથી કટિંગનો માલ” માંગી 2 પ્લસ કરવાની પદ્ધતિથી ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. હિમાંશુ. નાકજી રબારી, રાહુલ, કૌશલ પોટલા કર્ફે તેખન અને કૈલાશ ટોપી જેવા લોકો દુકાનો પર જઇ માત્ર ઉઠાવત્તા હોવાની પણ ચર્ચા છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 11:45 am

લ્યો બોલો, હવે ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલરની ચોરી:નેટવર્ક ખોરવાતા ગ્રાહકોએ કમ્પ્લેન કરી, તપાસ કરતા જાણવા મળ્યું મોડ્યુલર જ ગાયબ છે

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી બીએસએનએલ કંપનીના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં લોખંડના પિલરમાંથી ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ્સની મોટા પાયે ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અજાણ્યા ચોર ઇસમ દ્વારા કુલ 80 હજાર રૂપિયાની કિંમતના ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ્સની ચોરી કરી ફરાર થઈ જતા પાણીગેટના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આશરે 100 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ્સ લગાવેલા હતાંપાણીગેટ ટેલિફોન એક્સચેન્જના સબ ડિવિઝનલ એન્જિનિયર કમલેશભાઈ ઈશ્વરભાઈ મકવાણા દ્વારા પાણીગેટ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના તાબાના વિસ્તારમાં પાણીગેટ, મહાવીર હોલ ચાર રસ્તા, ઉમા ચાર રસ્તા, કલાદર્શન, વૃંદાવન ચાર રસ્તા, તક્ષશીલા સોસાયટી સહિતના વિસ્તારો આવે છે. આ વિસ્તારોમાં ટેલિફોન સર્વિસ માટે લાગેલા પિલર (લોખંડની પેટી)માં આશરે 100 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ્સ લગાવેલા હોય છે. અચાનક નેટવર્ક બંધ થતાં ફરિયાદો 27 જાન્યુઆરીના રોજ સવારે ગ્રાહકો તરફથી અચાનક નેટવર્ક બંધ થવાની ફરિયાદો આવતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, મેમણ કોલોની નાકા પાસેના પિલરમાંથી તમામ ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ્સ ચોરાઈ ગયા છે. સાથે વિહંગ સોસાયટી પાસે (મહાવીર હોલ ચાર રસ્તા), ઉમા ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા ,કલાદર્શન ચાર રસ્તા પાસે મોડ્યુલ્સ ચોરાયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરીકુલ મળીને આ વિવિધ પિલરોમાંથી આશરે 80 હજાર રૂપિયાના ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ્સ ચોરી થયા હોવાનું સામે આવતા આ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી તેઓને ઝડપી પાડવા પાણીગેટ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 11:45 am

OPAL કંપનીમાં ઔદ્યોગિક સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો:અકસ્માતો ઘટાડવા-કર્મચારીઓમાં જાગૃતિ વધારવા હેતુસર આયોજન કરાયું

ભરૂચ કચેરીના નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા દહેજ સ્થિત OPAL કંપની ખાતે 18 ફેબ્રુઆરીના રોજ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કારખાનાઓમાં અકસ્માતોની સંભાવના ઘટાડવાનો અને કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રોસેસ સેફ્ટી, કનફાઇન સ્પેસમાં કાર્ય કરતી વખતે રાખવાની તકેદારીઓ, વર્ક એટ હાઇટ સલામતી અને મેન્ટલ સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકાથી આવેલા સલામતી નિષ્ણાત, વિશેષજ્ઞ ડોક્ટર અને DGFASLI ના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટરને ફેકલ્ટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રિત ફેકલ્ટી દ્વારા ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ અને અધિકારીઓને વિષયવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને વ્યવહારુ સલામતી ઉપાયો, જોખમ નિયંત્રણ અને આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના કુલ 110 થી વધુ પ્રતિભાગીઓએ હાજરી આપી હતી, જેનાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 11:00 am

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ઠગાઈ:મોબાઈલ રિપેરિંગ કરતા યુવક પાસેથી યુવતીએ ટુકડે-ટુકડે 5 લાખ રૂપિયા પડાવ્યા

બોપલમાં મોબાઇલ રિપેરિંગનું કામ કરતા યુવકને અજાણ્યા નંબર પરથી મેસેજ કરીને મહિલા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી વધુ નફો આપવાની લાલચ આપી હતી. યુવકે યુવતીના કહેવાથી ટુકડે-ટુકડે 5.56 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. યુવકને નફા સાથેની વધુ રકમ બતાવી ઉપાડવી હોય તો ટેક્ષ ભરવાનું કહ્યું હતું. યુવકે તપાસ કરતા ફ્રોડ થયાની જાણ થતા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો હતોઘાટલોડીયામાં રહેતો શક્તિસિંહ ઠાકોર નામનો 34 વર્ષથી યુવક બોપલમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે. શક્તિસિંહને અજાણ્યા નંબરથી વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો હતો, જેમાં ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવ્યું હતું. જે બાદ આપેલી લિંક ઓપન કરીને શક્તિસિંહે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને રજીસ્ટ્રેશનની 9500 ફી ભરી હતી. પૈસા ઉપાડવા જતાં ફ્રોડની જાણ થઈઅજાણ્યા નંબર પરથી માયા શર્મા નામની યુવતી શક્તિસિંહને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહેતા શક્તિસિંહે અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને કુલ 5.56 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યા બાદ શક્તિસિંહને 12 લાખ રૂપિયા જમા થયેલા બતાવતા હતા. જે ઉપાડવા માટે 5.29 લાખ રૂપિયા ટેક્સ ભરવાનું કહ્યું. જેથી શક્તિસિંહે તપાસ કરી ત્યારે ફ્રોડ થયાની જાણ થઈ હતી. આ અંગે શકિતસિંહે બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:45 am

30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે:એકસાથે 3 સિસ્ટમ સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે, તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ પવન ફૂંકવાનું શરૂ થયું હતું. જોકે આજે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી. આગામી કેટલાક દિવસોમાં પવનની ગતિ આશરે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ આજથી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 24 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશેરાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી હતી, જેને પગલે અમદાવાદમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા અને પવન ફૂંકાયા હતા. હવામાન વિભાગ મુજબ હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં પવનની ગતિ વધુ રહેશેઃ એ. કે. દાસએ.કે. દાસ, ડિરેક્ટર, હવામાન વિભાગ તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય છે. આગામી દિવસોમાં પવનની ગતિ વધુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું તાપમાનછેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 18.5, અમરેલીમાં 16.4, વડોદરામાં 19.4, ભાવનગરમાં 19.2, ભુજમાં 17.8, દમણમાં 19, ડીસામાં 16.4, દીવમાં 14.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 17.2, કંડલા 18.2, નલિયામાં 15.2, ઓખામાં 20.4, પોરબંદરમાં 15.3, રાજકોટમાં 16, સુરતમાં 17.6 અને વેરાવળમાં 18.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:40 am

બોટાદમાં માતૃભાષા મહોત્સવ યોજાયો:ગુજરાત સાહિત્ય અકાદમી અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજન

બોટાદમાં વિશ્વ માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આશ્રય ઘર, નવ નાળા પાસે, બોટાદ ખાતે યોજાયો હતો. આ મહોત્સવ ડો. ભાગ્યેશ જા, અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જાયન્ટ્સ સંસ્થાના પ્રમુખ ડો. પ્રશાંત કળથીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરીને અભિવાદન કરાયું હતું. મહોત્સવમાં વક્તા તરીકે બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર નરેન્દ્ર જોશી અને સાહિત્યકાર સંજય મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. વક્તાઓએ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને મહત્વને ઉજાગર કરવા માટે શૌર્ય કથાઓ, લોકગીતો, વાર્તાઓ, કવિતાઓ, છંદ અને હાસ્યનો ખજાનો રજૂ કરીને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ફેડરેશનના પદાધિકારીઓ કેતન રોજેસરા, ગ્રીનમેન સી.એલ. ભીકડીયા, નિલેશ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો. એલ.જી. બદ્રકિયા સહિત જાયન્ટ્સ સભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી દર્શન પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ કમલેશ દવેએ કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરીને અલ્પાહાર સાથે સમાપ્તિની જાહેરાત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:38 am

ગોધરા સ્ટેશનના બોર્ડની ભૂલ આખરે સુધારાઇ:અમૃત ભારત યોજના હેઠળ અરબીમાં લાગેલા લખાણને સુધારી ઉર્દૂમાં બોર્ડ લાગ્યા

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા રેલવે સ્ટેશનનો કરોડોના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. નવીનીકરણ બાદ મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે. જોકે, પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા સાઈનબોર્ડમાં એક ગંભીર ભાષાકીય ભૂલ સામે આવી હતી, જેને હવે રેલવે તંત્ર દ્વારા સુધારી લેવામાં આવી છે. નવીનીકરણ પ્રક્રિયા દરમિયાન પ્લેટફોર્મ પર નવા ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા હતા. રેલવેના નિયમ મુજબ, સ્ટેશનના બોર્ડ પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ ભાષાનો પ્રયોગ થવો ફરજિયાત છે. પરંતુ, ગોધરા રેલવે સ્ટેશનના નવા પ્લેટફોર્મ પર લગાવેલા બોર્ડમાં ઉર્દૂના બદલે 'વિદેશી ભાષા અરબી' લખાણ જોવા મળ્યું હતું. 'ગોધરા જંકશન' લખવા માટે ઉર્દૂ લિપિને બદલે શુદ્ધ અરબી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે નિયમ વિરુદ્ધ હતો. ઉર્દૂને બદલે અરબી ભાષાનો પ્રયોગ થયો હોવા અંગેના અહેવાલો દ્વારા આ ક્ષતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાષાકીય ક્ષતિ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. રેલવે વિભાગે પોતાની ભૂલનો સ્વીકાર કરીને તાત્કાલિક ધોરણે સુધારાની કામગીરી હાથ ધરી હતી. પ્લેટફોર્મ નંબર 2, 3, 4 અને 5 પર લાગેલા તમામ બોર્ડ પરથી અરબી લખાણ દૂર કરી, હવે નિયમ મુજબ ઉર્દૂ ભાષામાં સુધારો કરી લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:35 am

મંજૂરી વગર સ્માર્ટ વીજ મીટર નાખતા મહિલાઓને અધિકારીઓને ખખડાવ્યાં:DGVCLના કર્મીએ કાગળીયા બતાવી કહ્યું- આ અમારી પ્રોપર્ટી છે, જ્યારે ઈચ્છીએ ત્યારે બદલી શકીએ

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેની સામે જનતાનો રોષ પણ સતત વધી રહ્યો છે. તાજેતરમાં શહેરના હની પાર્ક રોડ પર આવેલી શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCLની ટીમનો રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. મહિલાઓના મતે, આ નવા મીટરો લાગવા પાછળ તેમની સંમતિ લેવામાં આવી નથી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. રહીશો અને કર્મચારીઓ વચ્ચે તીખી તકરારજ્યારે DGVCLના કર્મચારીઓ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર ફિટ કરવા માટે સાધનો સાથે પહોંચ્યા, ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વાત માત્ર વિરોધ પૂરતી મર્યાદિત ન રહેતા, સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોનો આક્ષેપ હતો કે તંત્ર કોઈ પણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર સીધું જ મીટર બદલવા માટે દબાણ કરી રહ્યું છે, જે લોકશાહી ઢબે યોગ્ય નથી. મંજૂરી વગર મીટર બદલવાના ગંભીર આક્ષેપોવિરોધ કરી રહેલા રહીશોએ DGVCL પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, કર્મચારીઓ મકાન માલિકોની લેખિત કે મૌખિક મંજૂરી વગર જ સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઘર અમારું છે અને અમારી મરજી વિરુદ્ધ વીજ કંપની કઈ રીતે કોઈ પણ ઉપકરણ લગાવી શકે? આ બાબતે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે કામગીરી અટકાવી દીધી હતી. ગુપ્ત રીતે કામગીરી કરવાનો પ્રયાસ નિષ્ફળસોસાયટીના રહીશોનો મુખ્ય તર્ક એ હતો કે તેમની જાણ બહાર મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રહીશોએ જણાવ્યું કે, જો તેઓ સજાગ ન હોત, તો તેમની ગેરહાજરીમાં જ મીટર બદલી નાખવામાં આવ્યા હોત. આ રીતે અંધારામાં રાખીને કરવામાં આવતી કામગીરી સામે લોકોએ લડાયક મૂડ અપનાવ્યો છે અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કામગીરી રોકવા મજબૂર કર્યા હતા. કર્મચારીઓએ કહ્યું- મીટર અમારા છેવિવાદ દરમિયાન DGVCLના કર્મચારીઓએ પણ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. ત્યાં હાજર કર્મચારીઓએ એવું નિવેદન આપ્યું હતું કે, આ મીટર અમારા (વીજ કંપનીના) છે, એટલે અમે જ્યારે ઈચ્છીએ ત્યારે તેને બદલી શકીએ છીએ. કર્મચારીઓના આવા અક્કડ અને રૂઆબદાર વર્તનને કારણે મામલો વધુ બિચક્યો હતો. રહીશોએ આ વર્તનને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:30 am

વલસાડમાં ગાઢ ધુમ્મસ, વિઝિબિલિટી ઘટી:નેશનલ હાઈવે પર વાહનચાલકોને મુશ્કેલી; કેરીના પાક પર જોખમ વધતાં ખેડૂતો ચિંતિત

વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગુરુવારે વહેલી સવારે સમગ્ર જિલ્લો ગાઢ ધુમ્મસથી ઘેરાઈ ગયો હતો. આના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી હતી, જ્યારે કેરીના પાક પર જોખમ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવારથી શહેરના મુખ્ય માર્ગો, સ્ટેટ હાઈવે અને ખાસ કરીને નેશનલ હાઈવે નંબર-48 પર ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝિબિલિટી અત્યંત ઓછી થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. અકસ્માત ટાળવા માટે ચાલકોએ પાર્કિંગ અને હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા હતા. ઓફિસ અને શાળાએ જતા લોકોને પણ વિલંબનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગના અનુમાન મુજબ, ગુરુવારે વહેલી સવારે વલસાડ શહેરનું લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા સુધી પહોંચતા ધુમ્મસ વધુ ગાઢ બન્યું હતું. પવનની ધીમી ગતિને કારણે ધુમ્મસ લાંબા સમય સુધી રહ્યું. વલસાડ જિલ્લો હાફુસ કેરીના ઉત્પાદન માટે જાણીતો છે. હાલમાં આંબાવાડીઓમાં આમ્રમંજરી ખીલી ઉઠી છે અને કેરીના ફળ બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે અચાનક આવેલા ગાઢ ધુમ્મસ અને વધેલા ભેજને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. કૃષિ નિષ્ણાતોના મતે, ગાઢ ધુમ્મસને કારણે આમ્રમંજરી પર ફૂગજન્ય રોગ અને જીવાતનો પ્રકોપ વધવાની શક્યતા છે. જો આ વાતાવરણ યથાવત રહેશે, તો ખેડૂતોને મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડશે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે શિયાળાની વિદાય પહેલા ઠંડકનો અનુભવ થયો છે. જોકે, ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:24 am

વડોદરામાં બે સ્થળોએ લૂંટની ઘટના:માતા-પુત્રી જ્વેલર્સમાંથી ખરીદીને નિકળ્યા ને 2.21 લાખની કિંમતની બંગડી ઝૂંટવી લીધી, સિનિયર સિટીઝનના 1.50 લાખ રોકડા, 2 મોબાઈલ ઝૂંટવીને 3 ગઠિયા ભાગી છૂટ્યા

વડોદરામાં બે અલગ-અલગ સ્થળોએ લૂંટની ઘટના સામે આવી છે. જેમાં કલ્યાણ જ્વેલર્સમાંથી સોનાની બંગડીઓ ખરીદીને સ્કૂટર પર નિકળેલા માતા પુત્રી પાસેથી સ્કૂટર સવાર બે ગઠિયાએ 2.21 લાખ રૂપિયાની બંગડી ભરેલા પર્સને ઝૂંટવી લીધું હતું. બીજી તરફ સિનિયર સિટીઝન પાસેથી સ્કૂટર પર સવાર 3 ગઠિયાઓએ 1.50 લાખ રૂપિયા રોકડા, 2 મોબાઈલ અને દવાઓ ભરેલી પર્સની ચોરી હતી. આ બંને કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉંડેરા વિસ્તારમાં સોનાની બંગડી સહિત પર્સની લૂંટ વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલી ઇશાનીયા ફ્લોરેન્ઝા રહેવાસી અનુરાધા ગોપાલ દત્તા (ઉંમર 41)એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેઓ તેમની માતા સાથે સ્કૂટર પર કલાકે 12 વાગ્યાની આસપાસ ચકલી સર્કલ પાસેના કલ્યાણ જ્વેલર્સમાં સોનાની ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી તેમણે પોતાના માટે સોનાની બંગડી ખરીદી અને તેને ઓરેન્જ કલરના પર્સમાં મૂકી હતી. આ પર્સ તેમણે પાછળ બેઠેલ માતાને આપ્યું હતું. બપોરે 3:15 વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફરવા નીકળ્યા હતા. રસ્તામાં ક્રુણાલ ચાર રસ્તા પાસે ચા-નાસ્તો કર્યા બાદ આશરે 4 વાગ્યે ફરી નીકળ્યા હતા. સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ સમન્વય વેસ્ટ રેસિડન્સીથી દર્શનમ કિંગ રેસિડન્સી તરફ જતા રોડ પર અચાનક પાછળથી કાળા કલરનું સ્કૂટર આવી હતી અને તેના પાછળ બેઠેલા વ્યક્તિએ માતા પાસેનું ઓરેન્જ કલરનું પર્સ આંચકી લીધું હતું. લૂંટારાઓ લક્ષ્મીપુરા રોડ તરફ ભાગી ગયા હતા. સ્કૂટર પર બે વ્યક્તિઓ બેઠેલા હતા. પર્સમાં 2.21 લાખ રૂપિયાની કિંમતની આશરે 12 ગ્રામ વજનની સોનાની બંગડી, એક મોબાઇલ 3 હજાર રૂપિયા રોકડા તથા SBI અને બેંક ઑફ ઇન્ડિયાના એટીએમ કાર્ડ હતા. સિનિયર સિટીઝનના પર્સની લૂંટ વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રાજપથ સોસાયટીના રહેવાસી કલ્પેશકુમાર કૈલાસગીરી મહંત (ઉંમર 58)એ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ એક્ટિવા પર મહારાજ ફાર્મ (સનફાર્મા રોડ, તાંદલજા)થી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમના ખભે લટકાવેલા કાળા કલરના પર્સમાં બેંકમાંથી ઉપાડેલા ₹1,50,000 રોકડ, બે મોબાઇલ ડાયાબિટીસની દવાઓ હતી. રાત્રે આશરે 8:30 વાગ્યે ચરોતર પાર્ક સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બ્લુ કલરની મોપેડ પર ત્રણ અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા. છેલ્લે બેઠેલા વ્યક્તિએ ખભેથી પર્સ ઝૂંટવી લીધું હતું, જેથી ફરિયાદી રોડ પર પડી ગયા હતા. આ બંને ઘટનાઓમાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:20 am

સંત નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃતનો ચોથો તબક્કો શરૂ:જામનગર સહિત દેશભરમાં જળસ્ત્રોતોની સફાઈ કરાશે

સંત નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ હેઠળ ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન રવિવાર, 22 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી સત્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર સમગ્ર ભારતમાં આયોજિત કરાયું હતું. જામનગરમાં વીંઝરખી ડેમ પર જળસ્ત્રોતની સફાઈનું કાર્ય આ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. સંત નિરંકારી મંડળના સચિવ જોગિંદર સુખીજાજીએ માહિતી આપતા જણાવ્યું કે, આ અભિયાન દેશભરમાં 1500થી વધુ સ્થળોએ એકસાથે આયોજિત થયું હતું. આ પ્રયાસ જળ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમાજને જળ સંરક્ષણનું મહત્વ સમજાવવાનો છે, કારણ કે જળ એ જીવનનો આધાર છે. સંત નિરંકારી મિશને બાબા હરદેવ સિંહજીની પ્રેરણાથી વર્ષ 2023માં સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી ‘પ્રોજેક્ટ અમૃત’નો પ્રારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ જળ સંરક્ષણને માત્ર એક અભિયાન પૂરતું સીમિત ન રાખતા તેને જીવનશૈલી અને સેવાભાવના સ્વરૂપે અપનાવવાની પ્રેરણા આપે છે. નદીઓ, તળાવો, કૂવા અને ઝરણાં જેવા કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત આ જનઆંદોલને તેના પ્રથમ ત્રણ તબક્કાઓમાં સેવા, સમર્પણ અને સહભાગિતાના ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યા છે. સોશિયલ મીડિયા અભિયાનો દ્વારા જળજન્ય રોગો અને સ્વચ્છતાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સત્ગુરુ માતાજીનો સંદેશ છે કે આપણે આ ધરતીને આવનારી પેઢીઓ માટે વધુ સુંદર, સ્વચ્છ અને સંતુલિત સ્વરૂપમાં જાળવી રાખીએ. ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાન આ જ સંકલ્પનું પ્રતીક છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 10:17 am

લગ્ન પછી ખબર પડી કે, પત્નીને બે યુવક સાથે અફેર:યુવતીએ કહ્યું-તારાથી થાય એ કરી લે, મારા ઊંચા કોન્ટેક્ટ છે, મેટ્રોમિનિયલ પરથી લગ્ન કરવા યુવકને ભારે પડ્યા

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રહેતા યુવકને મેટ્રોમિનિયલ સાઇટ પરથી લગ્ન કરવા ભારે પડી ગયા છે. મૂળ દિલ્હીની અને ઉત્તરપ્રદેશમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે વડોદરાના 25 વર્ષીય યુવકનો મેટ્રોમિનિયલ સાઇટ પર સંપર્ક થયો અને બંનેના લગ્ન થયા. લગ્ન બાદ પતિને ખબર પડી કે, પત્નીનાં એક નહીં પણ બે યુવક સાથે અફેર ચાલે છે, આ જાણીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે, પત્નીએ પતિએ ફોન કરીને ધમકી આપી કે, આ લગ્નની તેને કોઈ પરવા નથી, તારાથી થાય એ કરી લે. આ ઉપરાંત પતિને જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ઊંચા કોન્ટેક્ટ હોવાથી પોલીસ મારું કશું બગાડી નહીં શકે. આ ઉપરાંત તેણે યુવકના રોકડા રૂ. 1,20,000, ચાંદીના છડા અને વીટી પણ લઈ ગઈ છે. આ મામલે યુવકે પત્ની સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક મહિના સુધી ઓનલાઈન વાત કરી એક હોટેલમાં મળ્યાંવડોદરા શહેરના રાવપુરા વિસ્તારના એક 25 વર્ષીય યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની પત્ની મીરા (હાલ રહે. અલીગઢ ઉત્તરપ્રદેશ, મૂળ રહે. દિલ્હી) સાથે મેટ્રોમિનિયલ સાઇટ પર જુલાઈ 2025માં સંપર્ક થયો હતો. આશરે એક મહિના સુધી ઓનલાઇન વાતચીત બાદ 22 જુલાઈ, 2025ના રોજ યુવક મથુરા (ઉત્તર પ્રદેશ)માં તેને મળવા ગયો હતો. બંને મથુરા બસ સ્ટેન્ડ પાસેની હોટેલમાં રોકાયા હતા. યુવતીને વડોદરા લાવી યુવકે લગ્ન કર્યાત્યારબાદ યુવક અલીગઢમાં તેના ઘરે મુલાકાત લેવા ગયો, જ્યાં તેની માતા તેમજ નાની બહેન હાજર હતાં. ત્યાં તેઓએ લગ્નની ચર્ચા કરી હતી. 24 જુલાઈ, 2025ના રોજ યુવક વડોદરા પરત આવવા નિકળ્યો હતો, ત્યારે મીરાએ તેની સાથે વડોદરા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તેને સાથે વડોદરા લઈ આવ્યો હતો. આશરે ત્રણ મહિના સુધી બંને સાથે રહ્યાં હતાં. આ દરમિયાન મીરાએ નોટરી રૂબરૂ લખાણ પણ કરી આપ્યું હતું. 8 ઓક્ટોબર, 2025ના રોજ હિંદુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 9 ઓક્ટોબર, 2025ના રોજ માંજલપુર રજિસ્ટ્રાર કચેરી (મ્યુનિસિપલ કોર્પોરેશન) ખાતે લગ્ન નોંધણી કરાવી હતી. લગ્ન બાદ માત્ર એક દિવસ રહીને 10 ઓક્ટોબર, 2025ના રોજ મીરા અલીગઢ પરત ગઈ હતી. યુવક નોકરી પર જતો ત્યારે પત્ની પરપુરુષ સાથે વાત કરતી24 ઓક્ટોબર, 2025ના રોજ તે ફરી વડોદરા આવી હતી અને આશરે એક મહિનો વડોદરામાં પતિ સાથે રહી હતી. આ દરમિયાન યુવકને તેની પત્નીના અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધો હોવાની જાણ થઈ હતી, જે અંગે વારંવાર ઝગડા થતા હતા. યુવક નોકરીએ જતો ત્યારે મીરા મહેશ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે વાતચીત કરતી હતી. એક વખત મહેશે યુવકને ફોન કરીને કહ્યું કે, તે મીરા સાથે વાત કરે છે અને તેનું 'પૂરું' કરે છે. ત્યારબાદ યુવકે પત્નીને પૂછતાં તેણે લગ્ન પહેલાં મહેશ સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું. પિયરમાં જઈને પણ બીજા સાથે સંબંધ રાખ્યાંયુવકે તેને ભૂતકાળ ભૂલીને શાંતિથી રહેવા કહ્યું હતું, પરંતુ સુધારો આવ્યો નહોતો અને પત્ની મીરા અવારનવાર પતિ સાથે અશોભનીય વર્તન કરતી, ગાળો અને ધમકીઓ આપતી હતી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. તેણે યુવકની માતા બીમાર હોવા છતાં તેમનું ધ્યાન રાખ્યું નહીં અને પિયર ચાલી ગઈ હતી. પિયરમાં જઈને પણ જીગર (નામ બદલ્યું છે) સાથે અનૈતિક સંબંધ રાખ્યા હતા. ઊંચા કોન્ટેક્ટ હોવાથી પોલીસ મારું કશું બગાડી નહીં શકે કહી ધમકી આપીમીરાએ પતિને ફોન કરીને કહ્યું હતું કે, આ લગ્નની તેને કોઈ પરવા નથી, તારાથી થાય એ કરી લે. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને સ્ત્રી રક્ષણના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ઊંચા કોન્ટેક્ટ હોવાથી પોલીસ મારું કશું બગાડી નહીં શકે. આ ઉપરાંત તેણે યુવકના રોકડા રૂ. 1,20,000, ચાંદીના છડા અને વીટી પણ લઈ ગઈ છે. આ મામલે યુવકે પત્ની સામે વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 9:32 am

સિદ્ધપુર દુષ્કર્મ-અપહરણ કેસ: આરોપીને 20 વર્ષની સખ્ત કેદ:પાટણ પોક્સો કોર્ટે 55,000 દંડ ફટકાર્યો, ફેબ્રુઆરીમાં કિશોરીને ભગાડી હતી

પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સિદ્ધપુરના એક ગામની કિશોરીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી અનિલભાઈ ખોડાભાઈ ઠાકોરને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 55,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ઉપરાંત, ભોગ બનેલી સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરવામાં આવી છે. સરકારી વકીલ જિતેન્દ્રભાઈ જે. બારોટે આ કેસમાં રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને IPC કલમ 363/366 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 મુજબ 20 વર્ષની સખ્ત કેદ અને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. કેસની વિગતો અનુસાર, સિદ્ધપુર તાલુકાના એક ગામની 17 વર્ષીય કિશોરી 29 ફેબ્રુઆરી, 2024ના રોજ રાત્રે કુદરતી હાજતે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. તે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળતા સિદ્ધપુર પોલીસ મથકે તેના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી અનિલે કિશોરીને લગ્ન કરવા માટે ભાગી જવાનું કહ્યું હતું, જેના માટે કિશોરી સંમત થઈ હતી. ઘટનાના દિવસે રાત્રે કિશોરી ઘરેથી નીકળ્યા બાદ બંને અનિલની રિક્ષામાં વિસનગરના એક ગામમાં અનિલના પિતાના મામાના ઘરે રોકાયા હતા. ત્યાં આરોપીએ કિશોરી સાથે છ વખત દુષ્કર્મ આચર્યું હતું. 2 માર્ચ, 2024ના રોજ કિશોરી વિસનગરના તે ગામમાંથી મળી આવી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનો આરોપી અનિલ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો અને તેમને પ્રેમસંબંધ બંધાયો હતો. અનિલના સગાં આવતા અનિલ ડરીને કિશોરીને ત્યાં એકલી મૂકીને નાસી ગયો હતો. અનિલના સગાઓએ કિશોરીને સિદ્ધપુર પોલીસ મથકે રજૂ કરી હતી. કિશોરીએ તેના માતા-પિતા પાસે જવાનો ઇનકાર કરતા તેને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. કિશોરીના નિવેદનના આધારે આરોપી સામે પોક્સોની કલમો ઉમેરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ સગીરાની સંમતિથી સંબંધ બાંધ્યો હતો, પરંતુ સગીરાની સંમતિ કાયદેસરની નહોતી. ફરિયાદ પક્ષ પોતાનો કેસ વ્યાજબી શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 9:21 am

'ઈરાન સાથે યુદ્ધના ભયાનક પરિણામો આવશે...' રશિયાની અમેરિકાને ખુલ્લી ચેતવણી

Russia Warns US and Israel: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જોવા મળશે. પરમાણુ મથકો પર હુમલો એ જોખમી રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જૂન 2025માં થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 'ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવી એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) ના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.

ગુજરાત સમાચાર 19 Feb 2026 8:51 am

દ્રષ્ટિ વિહિન છતાં ઊંચી ઉડાનનું સ્વપ્ન:રાજકોટમાં બોર્ડની પરીક્ષાની તનતોડ પ્રેક્ટિસ કરતી પ્રજ્ઞાચક્ષુ બહેનો : નાનપણમાં તાણ આંચકી ઉપડતા, આંખોના પડદા સૂકાતા દ્રષ્ટિ ગૂમાવી

રાજકોટમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે અહીં વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ બહેનો જુસ્સા સાથે આ પરીક્ષા આપવા માટે સજ્જ છે. અહીંની 8 બહેનો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ધો. 10 ની એક વિદ્યાર્થિની તુલસી કે જે 5 વર્ષની હતી ત્યારે તાવ આવ્યા બાદ તાણ આંચકી ઉપડવાને કારણે આંખોથી દેખાવવાનું બંધ થઈ ગયુ. આમ છતાં પણ આ દીકરીને પોતે કરેલી મહેનતના આધારે 70% થી વધુ માર્ક્સ આવે તેવી આશા છે અને ભવિષ્ય માટે ગુજરાતી વિષયની પ્રોફેસર બનવા માગે છે. જ્યારે ધો.12 ની વિદ્યાર્થિની કરુણાબાનો આંખનો પડદો સૂકાઈ ગયો હોવાથી દ્રષ્ટિ ગૂમાવી દીધી છે આમ છતાં પણ તે તનતોડ મહેનત કરી રહી છે અને ભવિષ્યમાં સરકારી અધિકારી બનવા માંગે છે. ધોરણ 10 ની વિદ્યાર્થિની તુલસી દુધરેજીયાએ જણાવ્યું હતું કે, હું આ સંસ્થામાં છેલ્લા 10 વર્ષથી અભ્યાસ કરું છું. મારી ઉંમર હાલ 20 વર્ષ છે અનેહું પાંચ વર્ષની હતી ત્યારથી મને દ્રષ્ટિની ખામી થઈ ગઈ છે. તે વખતે મને ખૂબ જ તાવ આવ્યો હતો અને ત્યારબાદ તાણ આંચકી ઉપડી હતી અને તેને કારણે દ્રષ્ટિની ખામી થઈ ગઈ હતી. અમને કોઈ રેકોર્ડિંગ જોઇતું હોય તો દક્ષા મેડમ કરી આપે છે. મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું અને ત્યાં અમારે દરરોજ તમામ વિષયોના લેક્ચર હોય છે. જેને લીધે આ પરીક્ષામાં 75% થી ઉપર માર્ક્સ આવશે તેવી ધારણા છે. ધો. 10 પછી ધોરણ 11 અને 12 આર્ટસનો અભ્યાસ કરવા માગું છું. જે બાદ ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ પીએચ.ડી. કરવાની ઈચ્છા છે અને મારું સ્વપ્ન પ્રોફેસર બનવાનું છે. જ્યારે અન્ય 20 વર્ષની વિદ્યાર્થિની કરૂણાબા જાડેજાએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે હું આર્ટ્સ ફેકલ્ટી સાથે ધોરણ 12 ની પરીક્ષા આપીશ. જી.ટી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં હું અભ્યાસ કરું છું. બીજી વખત બોર્ડની પરીક્ષા આપી રહી છું ત્યારે ખૂબ જ સારી તૈયારી છે અને 70 થી 80 ટકા માર્કસ આવે તેવી ધારણા છે. હું 14 વર્ષની હતી ત્યારે જ મારી દ્રષ્ટિ ચાલી ગઈ છે. મારી આંખના પડદા સુકાઈ ગયા છે. આઈ.ટી.આઈ માં કોમ્પ્યુટર વિશે નો કોપા નો કોર્સ કરવો છે અને ત્યારબાદ સરકારી નોકરી કરવાનું સ્વપ્ન છે. હિમરેશાબેન રાયચુરાએ જણાવ્યુ હતુ કે, આ સંસ્થા 18 જૂન, 1953 થી શરૂ થયેલી છે. પ્રજ્ઞાચક્ષુ બહેનોના અભ્યાસ અને પુનર્વસન માટે આ સંસ્થા કાર્યરત છે. અહીં 83 જેટલા બહેનો છે. આ વર્ષે ધોરણ 10 માં 5 અને ધોરણ 12 માં 3 વિદ્યાર્થિની બહેનો પરીક્ષા આપશે. અહીં તમામ બહેનોને રહેવા અને જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. અભ્યાસ માટેની તમામ સગવડો અને મેડિકલ સુવિધા સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. જ્યારે પ્રજ્ઞાચક્ષુ બહેનોને અભ્યાસ કરાવતા રિસોર્સ પર્સન દક્ષાબેન મેવાડાએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુ બહેનોની ધોરણ 10 અને 12 ની પરીક્ષા ની તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે તેઓ વહેલી સવારે ઉઠીને અને રાત્રે મોડે સુધી જાગીને અભ્યાસ કરતા હોય છે. જે માટે તેઓ બ્રેઈલ બૂક, રેકોર્ડિંગના અલગ અલગ સાધનો જેમ કે ડેઝી પ્લેયર અને અભ્યાસ પૂરતો મોબાઈલનો પણ ઉપયોગ કરે છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 8:49 am

8 ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા સેવાકીય પ્રવૃત્તિ:આણદાબાવા સંસ્થામાં વૃદ્ધ માતાઓ, મૂકબધિર બાળાઓનું સન્માન

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા શ્રી આણદાબાવા સેવા સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. લીમડાલેન સ્થિત આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમની અંતેવાસી માતાઓ અને શ્રીરામ મૂકબધિર વિદ્યા વિહાર ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કમાન્ડિંગ ઓફિસર, કમાન્ડર સ્નેહા રાય અને શ્રી સરસ્વતી વિદ્યામંદિરના નેવલ કેડેટ્સ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓને સાડીઓ અને મૂકબધિર બાળાઓને ચણિયાચોળી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. કમાન્ડર સ્નેહા રાયે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન વૃદ્ધ માતાઓના આશીર્વાદ અને મૂકબધિર બાળાઓને સન્માનિત કરવાનો અવસર મળ્યો તે અત્યંત હૃદયસ્પર્શી છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ NCC કેડેટ્સમાં સામાજિક સેવાની ભાવના જગાડે છે. તેમણે ભારતીય સેનાની જેમ આંતરિક વ્યવસ્થા જાળવવામાં સેવાભાવી સંસ્થાઓના યોગદાનને પણ બિરદાવ્યું હતું. શ્રી આણદાબાવા સંસ્થાના ચિરાગભાઈએ માહિતી આપી હતી કે, સંસ્થા છેલ્લા 330 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. જેમાં છેલ્લા 60 વર્ષથી અસહાય વૃદ્ધ મહિલાઓ અને 35 વર્ષથી મૂકબધિર બાળકો માટે વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, જાહેર જનતા માટે રાહત દરે મેડિકલ સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેમણે NCC નેવલ યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વૃદ્ધ મહિલાઓએ નેવલ NCCના ઓફિસર્સ અને સ્ટાફને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, દેશની સેવા કરતા સેનાનીઓ આજે તેમને મળવા આવ્યા અને સન્માનિત કર્યા તે ગર્વ અને ખુશીની વાત છે. આ સેવાકીય કાર્યક્રમમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના કમાન્ડિંગ ઓફિસર, એસોસિએટ NCC ઓફિસર, પીઆઈ સ્ટાફ, કેર ટેકર ઓફિસર અને શ્રી સરસ્વતી વિદ્યામંદિરના કેડેટ્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 8:46 am

'ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ...', રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી

AI Image Robert Kiyosaki Crash Warning: 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વને ચોંકાવનારી ચેતવણી આપી છે.

ગુજરાત સમાચાર 19 Feb 2026 8:46 am

જામનગર વોર્ડ 12માં સી.સી. રોડનું ખાતમુહૂર્ત:બાલનાથ સોસાયટીમાં ₹ 25 લાખના ખર્ચે કામ શરૂ

જામનગરના વોર્ડ નંબર 12ના નગરસીમ વિસ્તારમાં આવેલી બાલનાથ સોસાયટીમાં અંદાજિત ₹ 25 લાખના ખર્ચે સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર વકીલ જેનબબેન ખફી તથા સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાનભાઈ જુણેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સંજય સતવારા, આશિષભાઈ સતવારા, કપિલભાઈ સતવારા, જાકીર સર પંજા, ઈમરાનભાઈ ખફી, અનવરભાઈ ખીલજી, શાહનવાઝ ખીલજી, નાઝિર ખફી, નદીમભાઈ ખીલજી, રેહાન બેલીમ, અલ્તાફભાઈ મેમણ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને મહિલાઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 8:39 am

સયાજી હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટની ઓચિંતી તપાસ:પડદા પાછળ વ્હીલચેર-સ્ટ્રેચર, ગંદા ગાદલા મળ્યાં; ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું કહી અધિકારીઓને ખખડાવ્યાં

સયાજી હોસ્પિટલમાં NABH ટીમની મુલાકાત પહેલાં સુપરિન્ટેન્ડેન્ટની તપાસમાં ગંભીર ખામીઓ જોઈ સુપરિન્ટેન્ડેન્ટ ચોંક્યા અને મજાકમાં જ કહી દીધું કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પડદા પાછળ દેખાય છે. આ સાથે સયાજી હોસ્પિટલમાં અસુવિધાઓને લઈ પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા. સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરની સયાજીમાં સપ્રાઈઝ મુલાકાતવડોદરાની જાણીતી સરકારી સયાજી હોસ્પિટલમાં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ (NABH)ની તપાસ ટીમ આગામી 20થી 22 ફેબ્રુઆરીએ મુલાકાતે આવી રહી છે. આ મુલાકાતને લઈને હોસ્પિટલ વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે અને અચાનક સફાઈ-સુધારણાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે હોસ્પિટલના વડા સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે અચાનક હોસ્પિટલની મુલાકાત લેતા સ્ટાફ દોડતો થયો હતો. પડદા પાછળ વ્હીલચેર, સ્ટ્રેચર અને ગંદા ગાદલા જોઈ ભડક્યાંસયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે હોસ્પિટલના મોટાભાગના વોર્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઇમર્જન્સી વોર્ડ નજીક આવેલા કરુણા વોર્ડમાં પડદા પાછળ છુપાવેલા વ્હીલચેર, સ્ટ્રેચર અને ગંદા ગાદલા જોવા મળ્યા હતા. આ જોઈને સુપરિન્ટેન્ડેન્ટ ભડકી ઊઠ્યા અને પડદા પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું અધિકારીઓને સંભળાવ્યું હતું. તેમણે આ અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. અધૂરી કામગીરીને લઈ અધિકારીઓને ખખડાવ્યાંઆ ઉપરાંત, એક વોર્ડમાં છતની અધૂરી કામગીરી જોવા મળતાં પણ સુપ્રિટેન્ડન્ટ વિચારમાં પડી ગયા હતા. તેમણે સંબંધિત વહીવટી અધિકારીઓને ખડકાવ્યા હતા અને તાત્કાલિક અસરથી બધી દૂર કરવા કડક સૂચનાઓ આપી હતી. બીજી તરફ, નવા સર્જિકલ બિલ્ડિંગના ઉપલા માળે બનેલા દાઝેલાના વોર્ડનું સેન્ટ્રલ એસી કાઢીને ફિઝિયોથેરાપી બિલ્ડિંગમાં ટ્રેક્ટર દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NABH તપાસને લઈને હોસ્પિટલ તંત્રમાં દોડધામNABHના ધોરણો અને નિયમો અનુસાર હોસ્પિટલમાં ક્લિનિકલ સારવાર પ્રક્રિયા, દર્દીઓના રેકોર્ડ-ડોક્યુમેન્ટેશન, સ્વચ્છતા, સ્ટાફ વ્યવસ્થા, દર્દીઓને આપવામાં આવતું ભોજન તેમજ સાઇન બોર્ડ અને એડમિનિસ્ટ્રેટિવ વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલની દીવાલો અને વિવિધ વિસ્તારોની સફાઈનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી NABH તપાસને લઈને હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 8:28 am

ગુજરાત બજેટ બેગ પાછળ પાટીદાર ભેજું:1996નો એ દિવસ બન્યો જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ, જાણો કોણ છે 4 વર્ષથી પોથી ડિઝાઇન કરનારા IPS પત્ની

ગુજરાત વિધાનસભામાં 18 જાન્યુઆરી બુધવારે વર્ષ 2026-27 માટેનું 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે આ વખતે પણ બજેટ બેગની પાછળના ભાગ પર એક આકર્ષક પેઇન્ટિંગ દોરવામાં આવ્યું હતું. આ ચિત્રકલા 1200 વર્ષ જુનું વરલી આર્ટ છે. જેને GPSCના ચેરમેન IPS હસમુખ પટેલના પત્ની દ્વારા કંડારવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી બીના હસમુખ પટેલ બજેટ પોથી પર ચિત્રકામ કરી રહ્યા છે, 1996માં શરૂ કરનાર વરલી આર્ટને અત્યાર સુધી જીવંત રાખનાર બીના પટેલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાની કલાયાત્રા તેમજ આ આર્ટની વિશેષતાઓ વિશે વિગતે માહિતી આપી હતી. જીવ્યા સોમા માસે સાથેની પહેલી મુલાકાત જિંદગીનો ટર્નિંગ પોઈન્ટકલાકાર બીના પટેલે પોતાના પરિચયમાં જણાવ્યું હતું કે, તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માંથી સ્કલ્પચરનો અભ્યાસ કર્યો છે. તેઓ શિલ્પકલા ભણતા હતા ત્યારે 1996માં બીજા વર્ષમાં અભ્યાસ દરમિયાન પ્રસિદ્ધ વારલી ચિત્રકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા જીવ્યા સોમા માસે કોલેજમાં ડેમો આપવા આવ્યા હતા. તે દિવસનો અનુભવ તેમની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 'ડેમો જોયા બાદ હોસ્ટેલ રૂમમાં જાતે કલાને અજમાવી'તેઓએ જણાવ્યું કે, ડેમો દરમિયાન જોયેલી કલાને તેમણે એ જ રાત્રે હોસ્ટેલ રૂમમાં સ્વયં અજમાવી. બીજા દિવસે પોતાના બનાવેલા ચિત્ર ગુરુજીને બતાવતા તેમણે પૂછ્યું કે “ક્યાં શીખી?” ત્યારે બીના પટેલે કહ્યું કે “તમારી પાસે.” ગુરુજીનો ઉત્તર હતો કે “હું તો કોઈને શીખવાડતો નથી,” પરંતુ તેમની પ્રતિભા જોઈ તેમણે આશીર્વાદ આપતાં કહ્યું કે, “હવે શીખી લીધું છે તો આખી જિંદગી આ કરજે. હાથમાંથી પીંછી પડી જાય ત્યાં સુધી તું વારલી ચિત્ર કરતી રહીશ એવું વચન આપ.” બીના પટેલે તે દિવસે આપેલું વચન આજ સુધી નિભાવી રહ્યાં હોવાનું જણાવ્યું. 1200 વર્ષ જૂની વારલી ચિત્રકલા આજે પણ જીવંતબજેટ પોથી પર દોરાયેલા ચિત્ર વિશે તેમણે જણાવ્યું કે, આ વારલી ચિત્રકલા છે, જે આશરે 1200 વર્ષ જૂની પરંપરા ધરાવે છે. આ કલા મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર વસતા વારલી આદિવાસીઓ દ્વારા પ્રચલિત છે. પરંપરાગત રીતે આ ચિત્રો ઘરનાં ઝૂંપડાંની બહારની દિવાલો પર દોરવામાં આવે છે. તેમણે સમજાવ્યું કે, મુંબઈ મહાનગર નજીક હોવાના કારણે મહારાષ્ટ્રમાં આ કલાને વધુ બજાર અને ઓળખ મળી. ત્યાં વેચાણ અને પ્રોત્સાહન મળતા કલા જીવંત રહી. રાજ્ય વિભાજન બાદ ગુજરાત તરફ વારલી આદિવાસીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી અને વેચાણની તકો પણ ઘટી, જેના કારણે ગુજરાતમાં આ કલાનું પ્રમાણ અને ઓળખ ઓછી રહી. આજે પણ ઘણા લોકો માને છે કે વારલી માત્ર મહારાષ્ટ્રની કલા છે, જ્યારે હકીકતમાં વારલી આદિવાસીઓ ગુજરાતમાં પણ વસે છે અને અહીં પણ આ કલા જીવંત છે. 1000થી વધુ લોકોને વારલી ચિત્રકલા શીખવીબીના પટેલે વધુમાં જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી 1000થી વધુ લોકોને વારલી ચિત્રકલા શીખવી છે. 2005માં સુબેરધામ સામે આવેલા હાડોળ ગામમાં તેમની પ્રથમ બેંચ શરૂ થઈ હતી, જેમાં વારલી આદિવાસીઓ જ શિષ્ય હતા. તેમણે ભાવુકતા સાથે જણાવ્યું કે 84 વર્ષીય બા પણ તેમના શિષ્ય હતા અને તેમને પણ એ પહેલાં ખબર ન હતી કે વારલી ચિત્રકલા શું છે. બજેટ પોથી પર ‘કંસરી દેવી’નું પ્રતિકાત્મક ચિત્રબજેટ પોથી પર દોરાયેલા ચિત્રમાં ‘કંસરી દેવી’નો ફોટો પણ સામેલ છે. આ દેવીને સગાઈ, લગ્ન અને ખાસ કરીને પાક લણણી બાદ પ્રથમ અર્પણ કરવામાં આવે છે. પાક ઘરમાં લાવ્યા પછી પહેલું અન્ન કંસરી દેવીને સમર્પિત કરવામાં આવે છે. તેમને સુખ અને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. વારલી સમુદાયમાં વાંસથી બનેલી અનાજની કોઠીઓને ‘મુસ્કી’ કહેવામાં આવે છે. તેમાં અનાજ ભરતા પહેલાં પણ કંસરી દેવીનું ચિત્ર દોરવામાં આવે છે. માન્યતા મુજબ દેવીની સ્થાપના કરવાથી ઘરમાં ધન-ધાન્યના ભંડાર ક્યારેય ખૂટતા નથી. ચાર વર્ષથી બજેટ પોથી પર ચિત્રકામબીના પટેલે જણાવ્યું કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી માટે ચિત્રકામ કરી રહ્યા છે. આ વખતની પોથી બ્લેક કલરની હોવાથી ચર્ચામાં આવી છે, પરંતુ બ્લેક કલર પહેલીવાર નથી. વર્ષ 2024-25ના બજેટ સમયે પણ બ્લેક કલરની બેગ પર તેમણે ચિત્રકામ કર્યું હતું. આ રીતે, ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી બજેટ પોથી પર વારલી કલાનું સશક્ત પ્રતિબિંબ જોવા મળ્યું છે. જે માત્ર કલાત્મક અભિવ્યક્તિ જ નહીં, પરંતુ આદિવાસી પરંપરા, ગુરુ-શિષ્ય પરંપરા અને સુખ-સમૃદ્ધિના સંદેશને પણ ઉજાગર કરે છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 7:00 am

ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો ચોથો દિવસ:પ્રશ્નોત્તરીથી લઈ 4 બિન-સરકારી વિધેયકો સુધી ગૃહમાં ગરમા-ગરમ ચર્ચાની તૈયારી

ગાંધીનગર ખાતે ચાલી રહેલી 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રના ચોથા દિવસે ગૃહકાર્ય વ્યસ્ત અને ચર્ચાસભર રહેવાની સંભાવના છે. દિવસની શરૂઆત પ્રથમ એક કલાકના પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં વિપક્ષ અને સત્તાપક્ષના સભ્યો દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવાના પ્રયાસો થશે. શિક્ષણક્ષેત્રના સુધારા અને રેશનિંગ વ્યવસ્થાના પ્રશ્નો પર ચર્ચા થઈ શકેઆજના પ્રશ્નોત્તરી કાળમાં નાણાં, શહેરી વિકાસ, શિક્ષણ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગોને લગતા પ્રશ્નો પુછાશે. ખાસ કરીને રાજ્યની આર્થિક સ્થિતિ, શહેરોમાં વધતી સુવિધાઓની માંગ, શિક્ષણક્ષેત્રના સુધારા અને રેશનિંગ વ્યવસ્થાના પ્રશ્નો પર ચર્ચા કેન્દ્રિત રહેવાની શક્યતા છે. સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ સાથે જોડાયેલા વિષયો પર સભ્યોના મંતવ્યો સ્પષ્ટ થશેદિવસ દરમિયાન ગૃહમાં ચાર મહત્વના બિન-સરકારી વિધેયકો પણ રજૂ થશે. તેમાં લઘુમતી કલ્યાણ વિધેયક, માતા-પિતા અને આશ્રિતોનું ભરણપોષણ વિધેયક, લગ્ન-નોંધણી (સુધારા) વિધેયક અને સર્વ ધર્મ શ્રદ્ધા અને સદ્ભાવ સંરક્ષક વિધેયકનો સમાવેશ થાય છે. આ વિધેયકોને લઈને રાજકીય ચર્ચા ગરમાય તેવી સંભાવના છે, કારણ કે સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ સાથે જોડાયેલા વિષયો પર સભ્યોના મંતવ્યો સ્પષ્ટ રીતે સામે આવી શકે છે. આ ઉપરાંત, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા હાથ ધરાશે. સરકારના આગામી વર્ષ માટેના વિઝન અને નીતિદિશા અંગે સભ્યો પોતાના અભિપ્રાયો રજૂ કરશે. વિપક્ષ સરકારના દાવાઓ પર પ્રશ્નો ઉઠાવશે, જ્યારે સત્તાપક્ષ સરકારની સિદ્ધિઓ રજૂ કરશે. આજનો દિવસ વિધાનસભામાં નીતિગત અને સામાજિક મુદ્દાઓ પર ઘનિષ્ઠ ચર્ચા થઈ શકેચર્ચા હેઠળના અન્ય મહત્વના વિધેયકોમાં ગુજરાત રાજ્ય કેન્સર અને ડ્રગ્સ વ્યસન મુક્તિ વિધેયક, ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક અને ગુજરાત આરોગ્ય અધિકાર વિધેયકનો સમાવેશ થાય છે. આ તમામ વિધેયકો રાજ્યના આરોગ્ય, રોજગાર અને સામાજિક કલ્યાણ સાથે સીધા જોડાયેલા હોવાથી ગૃહમાં વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે. એકંદરે, આજનો દિવસ વિધાનસભામાં નીતિગત અને સામાજિક મુદ્દાઓ પર ઘનિષ્ઠ ચર્ચાનો સાક્ષી બનશે. ગૃહમાં રજૂ થનારા વિધેયકો અને પ્રશ્નોત્તરી કાળના જવાબો રાજ્યની નીતિદિશા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 7:00 am

જોઈ લો, કોર્પોરેટરનો આઠ માથાનો રાવણ:‘હોંશિયારી કર્યાં વગર જતા રહો ને’ વિપક્ષના નેતા વિફર્યાં; મેવાણીએ મલકાઈને બધાને મુંઝવી દીધા, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 6:00 am

રૂપિયા ફેંકો, ધોરણ 10-12ની પરીક્ષા આપો, પાસ થવાની ફૂલ ગેરંટી:સ્કૂલ-ટ્યુશન જવાનું નહીં, ઓપન સ્કૂલિંગના નામે ગુજરાતમાં ચાલતા રેકેટનો હિડન કેમેરા પર પર્દાફાશ

“અમે ચાલુ પરીક્ષામાં 80થી 90 માર્ક્સના જવાબ લખાવવા માટે આવીશું. સ્ટુડન્ટે લખવું તો પડશે જ કેમ કે અમે જવાબ લખવાના તો પૈસા લઈએ છીએ. છોકરો પરીક્ષામાં 45 માર્કસ લાવે એટલે પાસ. સ્ક્વોડ આવે તો ચિંતા નહીં કરવાની, અમારો સ્ટાફ અંદર જ હોય છે.” આ શબ્દો છે એવા સેટિંગબાજ લોકોના જેઓ રૂપિયા લઈને 10મા અને 12મા ધોરણની પરીક્ષા પાસ કરાવી આપવાની ગેરંટી આપે છે. ન એક પણ દિવસ સ્કૂલે જવાની જરૂર છે, ન ટ્યૂશનની જરૂર, ન તો આખું વર્ષ હોમવર્ક કરવું પડે. ગુજરાતમાં ક્યાંય પણ મનપસંદ સેન્ટર પસંદ કરો, પરીક્ષા આપવા જાઓ અને 45 દિવસમાં પરિણામ… પાસ. ખરેખરમાં તો બોર્ડની પરીક્ષાનો બોજ માત્ર વિદ્યાર્થી પર નથી હોતો, વાલીઓ પર પણ હોય છે. આખો વર્ષ સ્કૂલ, ટ્યૂશન, ત્યાર બાદ ઘરે થતાં રાત ઉજાગરા… ત્યારે કોઈ વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવી શકે છે. પણ દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં કેમેરા સામે એવા ભેજાબાજ લોકો ખુલ્લા પડ્યા છે જેઓ શૈક્ષણિક વ્યવસ્થાની ઘોર ખોદવા બેઠાં છે. દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને જાણકારી મળી હતી કે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઓપન સ્કૂલિંગના નામે એવા સેન્ટર ખૂલ્યા છે જેઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરાવી આપવાની ગેરંટી આપી છે. એટલે આવા સેન્ટરો ચલાવતા લોકોનું અમે સ્ટિંગ ઓપરેશન કર્યું. પહેલાં સમજી જાણી લો કે ઓપન સ્કૂલનો કોન્સેપ્ટ શું છેભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ આવે છે. જે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરે છે. જો NIOS મારફતે પરીક્ષા આપો તો એની યોગ્યતા ગુજરાત શિક્ષણ બોર્ડ તેમજ CBSE જેટલી જ ગણવામાં આવે છે. એટલે જ આ પરીક્ષા પાસ કર્યા પછી દેશની કોઈપણ સ્કૂલ કે કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો. લોકો બોર્ડને બદલે NIOSમાં પરીક્ષા કેમ આપે?NIOSનો ઉદ્દેશ એવા લોકો માટે પરીક્ષાનું આયોજન કરવાનો હોય છે તેઓ રેગ્યુલર સ્કૂલ જવા નથી માગતા અથવા તો એવા લોકો જેમનો અભ્યાસ કોઈક કારણોસર છૂટી ગયો હોય. જેમ કે કોઈ વ્યક્તિએ પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તો તે મોટી ઉંંમરે પણ સ્કૂલે ગયા વગર સીધો જ 10મા ધોરણની પરીક્ષા આપી શકે છે. જો કોઈએ ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો હોય તો 12મા ધોરણની પરીક્ષા પણ NIOS મારફતે આપી શકાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા સામાન્ય રીતે વર્ષમાં ત્રણ વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પૂરી થાય તેના લગભગ એકાદ મહિના પછી એટલે કે એપ્રિલ-મે માહિનામાં તથા ઓક્ટોબર-નવેમ્બરમાં આ પરીક્ષા લેવાય છે. આ ઉપરાંત વર્ષમાં એક વખત પરીક્ષાર્થીઓની સંખ્યાના આધારે ઓન ડિમાન્ડ પરીક્ષાનું પણ આયોજન થાય છે. ગુજરાતમાં NIOSની મુખ્ય ઓફિસ ગાંધીનગરમાં આવેલી છે અને રાજ્યભરમાં અલગ-અલગ શહેરોમાં તેના સેન્ટર પણ છે. NIOSની સત્તાવાર વેબસાઇટ પરથી મળેલી જાણકારી પ્રમાણે ગુજરાતના 32 જિલ્લામાં કુલ 410 સેન્ટર આવેલા છે. જેમાં સૌથી વધુ સેન્ટર વડોદરા 31 અને અમદાવાદમાં 25 સેન્ટર આવેલા છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, આણંદમાં પણ ઘણા સેન્ટર છે. જો કે શિક્ષણના સત્કાર્યની ઓથ હેઠળ શરૂ થયેલા આમાંના ઘણા સેન્ટરો રૂપિયા છાપવાનું અને ગેરરીતિનું એપી સેન્ટર બની ગયા છે. NIOSના નિયમ પ્રમાણે ધોરણ 10ની પરીક્ષા આપનાર પુરુષ ઉમેદવારે 1800 રૂપિયા અને મહિલા ઉમેદવાર માટે 1450 રૂપિયા ફી લેવામાં આવે છે. પરંતુ દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે વડોદરા અને અમદાવાદના સેન્ટર્સ પર પહોંચી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. આ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત સોશિયલ મીડિયા પરથી મળેલી એક જાહેરાતથી થઈ. જેમાં લખ્યું હતું…NIOSમાં એડમિશન લેવાની છેલ્લી તક. ધોરણ 10-12મા નાપાસ થયેલા કોઈપણ વિદ્યાર્થી માટે પરીક્ષાનું આયોજન થશે. તમારું અમૂલ્ય વર્ષ બચાવો. આ સાથે જ મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો હતો. તેમજ પાસ થવાનું ગેરંટી પણ આપવામાં આવી હતી. પહેલાં મોબાઇલ પર વાત અને પછી રૂબરૂ મુલાકાતઅમે મોબાઇલ નંબર પર ફોન કર્યો તો એક મહિલા સાથે અમારી વાતચીત થઈ. ત્યારે અમે એક વિદ્યાર્થીના મોટાભાઈની ઓળખ આપી. ટેલિફોનિક વાતચીત દરમિયાન પરીક્ષા ક્યારે લેવાશે? શું ડોક્યુમેન્ટ જોઈશે? વગેરે માહિતી આપવામાં આવી. પરંતુ પૂછપરછ દરમિયાન જ્યારે પરીક્ષાની ફી અંગે અમે સવાલ કર્યો તો એક નવા પ્રકરણનો પર્દાફાશ થયો. પુરુષ ઉમેદવાર માટે 1800 રૂપિયા ફી છે પરંતુ અમને કહેવામાં આવ્યું કે 12 હજાર 500 રૂપિયા આપવા પડશે. આટલી અધધ ફી લેવા પાછળનું કારણ સમજવાતા ફોન પર વાત કરનાર મહિલાએ વિદ્યાર્થીને પરીક્ષામાં સેટિંગ કરાવી આપવાની અને ગેરંટી સાથે પાસ કરાવી દેવાનો દાવો કર્યો. ફોન પર વાતચીતના અંતમાં મહિલાએ અમને સરનામું મોકલી આપ્યું અને રૂબરૂ મળવા આવવા માટે કહ્યું. આ ઉપરાંત તેમણે અમને મોબાઇલ પર લોકેશન પણ મોકલી આપ્યું. જ્યારે દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમ વડોદરાના સેન્ટર પર પહોંચી…અમે વડોદરામાં આવેલા NIOSના સેન્ટર પર પહોંચ્યા. કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આ સેન્ટર આવેલું હતું. બહાર NIOSના આકર્ષક લખાણવાળા બોર્ડ મારેલા હતા. કાચનો દરવાજો ખોલતા જ સામે રિસેપ્શન હતું. જ્યાં એક યુવતી બેઠી હતી. અમે વિદ્યાર્થીના ભાઈ તરીકે ઓળખાણ આપી અને પરીક્ષાની પૂછપરછ માટે આવ્યા હોવાનું કહ્યું. અગાઉ ફોન પર વાત થઈ હોવાનું પણ અમે જણાવ્યું. એટલે નામ અને મોબાઇલ નંબર લેપટોપમાં નોંધીને થોડીવાર માટે વેઇટિંગમાં બેસાડવામાં આવ્યા. અમને રાહ જોવા માટેનું કહીને રિસેપ્શન પર બેસેલી યુવતી મોબાઇલ ફોન પર વાત કરતી-કરતી NIOS સેન્ટરની અંદર બનાવેલી એક ઓફિસમાં જતી રહી. માંડ એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં આ યુવતી બહાર આવી અને ઓફિસની અંદર બેસેલા એક મેડમને મળી આવવા કહ્યું. અમે ઓફિસમાં પ્રવેશ્યા. એક યુવતી ટેબલ ખુરસી નાખીને બેઠી હતી. પરંતુ ટેબલ પર ન કોમ્પ્યુટર, લેપટોપ કે પછી અન્ય મોટી સામગ્રી જોવા મળી. માત્ર બે-ચાર કાગળ પડ્યા હતા. અમારી વાતચીત શરૂ થઈ. એ યુવતીએ પોતાની ઓળખ શ્રદ્ધા મેડમ તરીકે આપી. દિવ્ય ભાસ્કરના રિપોર્ટર અને સેન્ટર સંચાલકની વાતચીતના અંશો વાંચો… શ્રદ્ધા: બોલો શું થયું?રિપોર્ટર: મારા નાના ભાઈને 10મા ધોરણની પરીક્ષા અપાવવી છે. શ્રદ્ધા: ક્યાંથી છો?રિપોર્ટર: વાઘોડિયાથી જ છું. શ્રદ્ધા: અત્યારે હાલમાં શું કરે છે?રિપોર્ટર: કાંઈ નથી કરતો. 10મા ધોરણમાં 2 વખત નપાસ થયો છે. 4-4 વિષયમાં. શ્રદ્ધા: કાંઈ વાંધો નહીં, અહીંયાંથી બધા વિષયની પરીક્ષા આપી હશે તો અપાશે અને 2021 પછીનું રિઝલ્ટ હશે તો 4 વિષય કરવા હશે તો એ પણ થશે. રિપોર્ટર: અમારે તો બધા જ વિષયની પરીક્ષા અપાવવી છે.શ્રદ્ધા: ઓકે, તો થઈ જશે, પણ અહીંયાં ફી થાય છે. એમાં એવું હોય કે પરીક્ષા આપવા એને જવું પડે. આપણે કોઈ તૈયારી નથી કરવાની. પરંતુ અમે જેટલું આપીએ એટલું એણે લખવું પડશે. જેમ કે 3 વિષયનું પ્રેક્ટિકલ આવશે. પ્રેક્ટિકલ આપવા સ્કૂલમાં જવું પડશે. અમે એડવાન્સ જ મોકલી આપીશું. એટલે લખીને રેડી કરીને જવાનું છે. રિપોર્ટર: એટલે તમે પેપર જ એડવાન્સ આપી દેશો?શ્રદ્ધા: હા…PDF મોકલી જ આપીશું. એ લખીને રેડી કરીને રાખવાનું છે. હોલટિકિટ આપશે એ પ્રમાણે ત્યાં બુક્સ પણ સબમિટ કરવાની છે અને અડધો-પોણો કલાકની પરીક્ષા પણ આપવાની છે. રિપોર્ટર: એટલે ત્યાં જઈને લખવાનું?શ્રદ્ધા: હા… અડધો કલાકની પરીક્ષા હશે. એટલે બે પેજ જેવું એમાં આન્સર લખવાના આવશે. ત્યાં પણ અમારો સપોર્ટ રહેશે એટલે વાંધો નહીં આવે. પણ ફરજિયાત પરીક્ષા આપવા તો જવું જ પડશે. પછી થિયરીની પરીક્ષા આવશે. એમાં અમારો સ્ટાફ અવેલેબલ હશે, આન્સર શીટ આવી જ જશે એના ટેબલ પર. બસ જોઈને લખવાનું છે. આ રીતે અમારા સપોર્ટથી તમારે પાસ થવું હોય તો 22 હજાર રૂપિયા ફી છે અને 500 રૂપિયા એડમિશન ફીના થશે. તમારે તબક્કાવાર પેમેન્ટ કરવાનું રહેશે. એમાં સૌથી પહેલાં 10 હજાર પછી 5 હજાર અને પછી 7 હજાર આપી શકો છો. રિપોર્ટર: અમે તો એકસાથે ફૂલ પેમેન્ટ કરી શકીએ છીએ.શ્રદ્ધા: તો 20 હજાર ફી થશે અને 500 રૂપિયા ફોર્મ રજિસ્ટ્રેશન ફીના થશે. રિપોર્ટર: આમાં પાસ થવાની ગેરંટી ખરી?શ્રદ્ધા: પાસ થવાની ગેરંટી ન હોય, ત્યાં લખવાનું મળે એ ગેરંટી છે. એને ત્યાં લખવાનું ભરપૂર મળશે.વડોદરામાં આવેલા સેન્ટર પરથી અમને NIOSની પરીક્ષામાં કેવી ગોલમાલ થાય છે એ જાણવા મળ્યું. પરંતુ હજુ બે મોટા પ્રશ્નોના જવાબ શોધવાના બાકી હતા. આ સવાલોના જવાબની શોધમાં અમને અમદાવાદના એક સેન્ટરનું સરનામું મળ્યું. જ્યાં બેસેલા એજન્ટો કોઈપણ જાતનો ડર કે શરમ રાખ્યા વગર પોતાના મોઢે જ શિક્ષણને કેવી રીતે ધંધો બનીવી દીધો છે એના દાવા કરી રહ્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રિંગરોડ પર બનેલા એક કોમ્પ્લેક્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગનું સેન્ટર આવેલું છે. આખું નેટવર્ક કેવી રીતે ચાલે છે? તેને ઉજાગર કરવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું. એ માટે અમે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં NIOSના સેન્ટર પર પહોંચ્યા. આ સેન્ટર એક એવા કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યું છે જ્યાં બિલ્ડીંગમાં ઘણા બધા સ્પા સેન્ટર ચાલે છે. ચાર માળની બિલ્ડીંગના ત્રીજા માળે અમે પહોંચ્યા. એક તરફ NIOSનું બોર્ડ, બાજુમાં સ્પાનું બોર્ડ અને તેની પાસે જ ગંદકીથી ખદબદતી કચરાપેટી. થોડા આગળ વધ્યા તો કાચનો મોટો દરવાજો દેખાયો જેના પર NIOS દ્વારા લેવાતી પરીક્ષા વિશે આકર્ષક રીતે લખ્યું હતું. તેમજ આ સેન્ટરમાં માર્ગદર્શન આપતું હોવાનો દાવો હતો. અંદર અમે પહોંચીને જોયું કે અહીંયાં આવતા લોકોને પ્રાથમિક જાણકારી આપવા માટે એક યુવતી રિસેપ્શન પર બેઠી હતી. અમે યુવતી પાસે જઈને વિદ્યાર્થીના ભાઈ તરીકે ઓળખ આપી અને સેન્ટર પર આવવાનું કારણ જણાવ્યું. કેટલીક ડિટેલ્સ લીધા બાદ અમને થોડીવાર માટે સોફા પર બેસવા માટે કહ્યું. અમે ત્યાં પહોંચ્યા એ પહેલાં જ બેથી ત્રણ વિદ્યાર્થીઓ પૂછપરછ માટે આવ્યા હતા. લગભગ ત્રણેક મિનિટ રાહ જોયા પછી રિસેપ્શન પર બેસેલી યુવતી અમને એક નંબરની ઓફિસમાં જવા માટે કહ્યું. આ ઓફિસમાં અન્ય એક યુવતી બેઠી હતી. ટેબલ પર લેપટોપ, કોમ્પ્યુટર કે અન્ય કોઈ સાહિત્ય કે સામગ્રી ન હતી. બસ તેમના હાથમાં મોબાઇલ ફોન હતો. યુવતીએ પોતાની ઓળખ “સલોની મેમ” તરીકે આપી. ઓફિસમાં ઘૂસતા જ ખુરસી પર બેસતા પહેલાં સવાલ-જવાબ શરૂ થઈ ગયા. સલોની, સેન્ટર સંચાલક: કોને પરીક્ષા આપવાની છે? રિપોર્ટર: મારા ભાઈને. સલોની, સેન્ટર સંચાલક: કયા ધોરણની આપવાની છે? રિપોર્ટર: 10માની સલોની, સેન્ટર સંચાલક: તે ફેઈલ થયો છે? રિપોર્ટર: હા, ગયા વર્ષે ધોરણ 10મા ધોરણમાં 4 વિષયમાં ફેઈલ થયો છે. સલોની, સેન્ટર સંચાલક: અમારે NIOS બોર્ડ છે. તમે વડોદરાથી ફોર્મ ભરશો તો તમારું પરીક્ષા સેન્ટર પણ વડોદરા જ આવશે. અમે આન્સર કી લખવા માટે આપીશું. 80થી 90 માર્ક્સનું પ્રોવાઇડ કરીશું. અમે આન્સર કી આપવાની ગેરન્ટી આપીશું. પણ લખવાનું વિદ્યાર્થીએ જ હોય છે. ઝડપી લખશે તો પાસ થઈ જ જશે. રિપોર્ટર: પાસ થવા માટે કેટલા માર્કસ જોઈએ? સલોની, સેન્ટર સંચાલક: આમાં 45 માર્કસ. રિપોર્ટર: આટલા બધા? ગુજરાત બોર્ડમાં તો 33 માર્ક્સે પાસ હોય છે.સલોની, સેન્ટર સંચાલક: હા… અનુકમાં 33 અને અમુકમાં 35 માર્ક્સે પાસ હોય છે. આમાં પણ કદાચ 35 માર્ક્સે પાસ થઈ જ જાય છે પણ 45 તો આવી જ જવાના. રિપોર્ટર: પરીક્ષા આપવા માટે ક્યાં જવાનું રહેશે? સલોની, સેન્ટર સંચાલક: એનું સેન્ટર નડીયાદ હશે. અમે પણ નડીયાદ જ પ્રોવાઇડ કરીએ છીએ. અમદાવાદમાં એક્ઝામ સેન્ટર નથી, એટલે વિદ્યાર્થીએ નડિયાદ જ જવું પડશે. અમે 80થી 90 માર્ક્સનું આપીશું, સ્ટુડન્ટે જોઈ-જોઈને લખવાનું રહેશે. જો લખશે તો પાસ થશે જ. પછી સ્ટુડન્ટ ફેઇલ થાય અને એવું કહે કે તમે પૈસે શેના લો છો? અમે આન્સર કી આપવાના પૈસા લઈએ છીએ, સેટીંગ કરવાના. રિપોર્ટર: જો કદાચ કોઈ ચેકિંગમાં આવી જાય તો, સ્ક્વોડ આવે તો? સલોની, સેન્ટર સંચાલક: આવે છે. પણ અમારો સ્ટાફ ત્યાં હોય જ છે હેલ્પ કરવા માટે. આન્સર કી લખવા આપીશું અને બે કલાકનો સમય પણ આપીશું. વિદ્યાર્થીએ ઝડપી અને વ્યવસ્થિત લખવાનું જ રહેશે. સલોનીએ અમને કહ્યું, પરીક્ષા પહેલાં તમને હોલ ટિકિટ અને આઇડી કાર્ડ અહીંયાંથી જ આપવામાં આવશે. તેની પ્રિન્ટ કાઢીને એક્ઝામ સેન્ટર પર લઈ જવાનું રહેશે. પરીક્ષાના 45 દિવસ પછી ઓનલાઈન રિઝલ્ટ આવી જશે અને ત્યાર બાદ તમને હાર્ડકોપી પણ મળશે. આમ, સંચાલક તો જાણે પરીક્ષામાં ચાલતી ગેરરીતિ વિશે જાણે ગર્વ લેતી હોય એવી રીતે ઘણી બધી માહિતી અમને આપી. છતાં પણ હજુ અમારા કેટલાક સવાલો બાકી હતી. થોડી આમતોમ વાતચીત કર્યા બાદ અમે આ કૌભાંડ કઈ હદે ચાલે છે એ જાણવા વધુ જાણકારી મેળવવાનો સવાલ કર્યો. રિપોર્ટર: પરીક્ષા ક્યારે લેવાશે? સલોની, સેન્ટર સંચાલક: સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવશે. રિપોર્ટર: પાસ થઈ ગયા પછી એને 11મુ ધોરણ રેગ્યુલર ભણવું હોય તો ભણી શકશે?સલોની, સેન્ટર સંચાલક: હા.. પણ આ વર્ષે નહીં આવતા વર્ષે. ઓક્ટોબરમાં પરીક્ષા હશે એટલે 2027માં 11મુ ભણી શકશે. રિપોર્ટર: કેટલી ફી છે?સલોની, સેન્ટર સંચાલક: અત્યારે એડમિશન લેવું હોય તો 12 હજાર 500 રૂપિયા ફી છે. રિપોર્ટર: અને લખાવવાના સેટિંગવાળુ?સલોની, સેન્ટર સંચાલક: એ બધું આમાં જ આવી ગયું. રિપોર્ટર: આટલી ફી એક પેપરની કે તમામ વિષયની પરીક્ષાની?સલોની, સેન્ટર સંચાલક: પાંચ પેપર આવશે અને પાંચે પાંચ દિવસ ત્યાં જવાનું રહેશે. તમે એક સાથે પેમેન્ટ કરો તો 12 હજાર 500 અને EMI કરવું હોય તો 15 હજાર 500 થાય. એમાં સાડા પાંચ હજારનો પહેલો હપ્તો આવો. રિપોર્ટર: પરીક્ષા છેક ઓક્ટોબર મહિનામાં કેમ? અત્યારે એપ્રિલ-મે મહિનામાં લેવાય છે ને, મેં ઓનલાઇન જોયું હતું? સલોની, સેન્ટર સંચાલક: ફેબ્રુઆરી-માર્ચમાં આવે છે. એને ઓન ડિમાન્ડ એક્ઝામ કહેવા છે. રિપોર્ટર: એમાં ફોર્મ ન ભરી શકાય?સલોની, સેન્ટર સંચાલક: એમાં એક વિષયની ફી 15 હજાર રૂપિયા હોય છે અને એના ફોર્મ પણ ક્લોઝ થઈ ગયા છે. રિપોર્ટર: તો એમાં કાંઈ થાય એવું નથી?સલોની, સેન્ટર સંચાલક: જો તેમાં પરીક્ષા આપવી હોય તો હું સેટિંગ કરીને લિંક ઓપન કરાવી શકું છું, પણ તેના માટે એક વિષયના 15,000 રૂપિયા આપવા પડશે. રિપોર્ટર: એમાં કાંઈ વ્યાજબી ન થઈ શકે?સલોની, સેન્ટર સંચાલક: ના સર… એમાં કાંઈ ન થાય.12,500 રૂપિયા ફી જ અત્યારે ઓછી છે. બાકી ગયા વર્ષે 17,500 ફી હતી. સલોનીએ અમને વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ વ્હોટ્સએપ મારફતે મોકલવા કહ્યું હતું. એટલે થોડા સમયમાં ડોક્યુમેન્ટ આપી દેવાનું બહારનું કરીને અમે ત્યાંથી નીકળી ગયા. પહેલાં વડોદરા અને ત્યાર બાદ અમદાવાદ, એમ બન્ને સેન્ટરના સ્ટિંગ ઓપરેશનમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે NIOSની પરીક્ષા નામે મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે અને બેફામ રીતે વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયા વસૂલાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 6:00 am

તંત્રની લાલ આંખ:લાખણકામાં રેતી માફિયાઓ ઉપર દરોડા, મુદ્દામાલ જપ્ત

ભાવનગરના લાખણકા ગામે ગેરકાયદેસર રેતી રાખી વેચાણ કરતા સાત ખનીજ માફિયા ઉપર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. ખાણ ખનીજ ટીમ દ્વારા બે દિવસમાં બીજી મોડી રેડ કરી, રેતીના ચારણા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ભાવનગરના તળાજાના દાત્રડ ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા નદીના પટમાં થતી ગેરકાયદેસર ખનીજ ચોરીમાં ડ્રોન દ્વારા ખનીજ માફિયાઓ ઉપર તવાઇ બોલાવી, 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી ખનીજ વિભાગની ટીમ દ્વારા બીજી મોટી રેડ ભાવનગરના લાખણકા ગામે કરવામાં આવતા સાત ખનીજ માફિયાઓ ફરાર થઇ જવા પામ્યા છે. લાખણકા ગામે ગેરકાયદેસર ખનીજ ચાળવાની પ્રવૃતિ થતી હોવાની ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી. જે બાતમી આધારે ખનીજ વિભાગની ટીમ દ્વારા લાખણકા ગામે અલગ અલગ સાત સ્થળો પર ગેરકાયદેસર રીતે રેતી રાખી, ચારણા દ્વારા રેતીને ચાળી, વેચાણ કરવામાં આવતું હોવાનું ફલીત થતાં સાત ખનીજ માફિયાઓની રેતી, ચારણા સહિતનો 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. જેમાં ખનીજ માફિયા રણછોડભાઈ બચુભાઇ ખસીયા, મુનાભાઈ પ્રેમજીભાઈ ખસીયા, અશ્વિનભાઈ ભુપતભાઈ ખસીયા, બીજલભાઈ હરજીભાઈ ખસીયા, દીપકભાઈ કાનજીભાઇ બારીયા, ભોપાભાઈ ખોડાભાઈ બારૈયા, મુન્નાભાઈ ઘુસાભાઈ ચૌહાણ (રહે.તમામ લાખણકા) વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. બે દી'માં 45 લાખના વાહનો, સાધનો જપ્ત કરાયાખાણ ખનીજ વિભાગ દ્વારા ભાવનગર ગ્રામ્ય પંથકોમાં બે દિવસમાં બે મોટા દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન ખાણ ખનીજ વિભાગે તળાજાના દાત્રડ ગામે નદીમાંથી રેતીની ચોરી કરનારા આરોપીના લોડર, ટ્રેક્ટર તેમજ લાખણકા ગામેથી સાત જેટલા રેતીના ચારણા સહિત કુલ રૂા 45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફિયાઓ વિરૂદ્ધ લાલ આંખ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:57 am

થેલેસેમિયા કેમ્પ યોજાયો:થેલેસેમિયા રોગને અટકાવવા માટે લગ્ન પહેલા ટેસ્ટ કરાવવો હિતાવહ

ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના એનએસએસ યુનિટ અને ભાવનગર અને ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા માયનોર પુરુષ જો અન્ય થેલેસેમિયા માયનોર સ્ત્રી સાથે લગ્ન કરે તો આવનાર બાળકને” થેલેસેમિયા મેજર ” રોગ થવાની શક્યતા 25% રહે છે , 25% બાળક નોર્મલ હોય છે અને 50% બાળક થેલેસેમિયા માયનર જન્મવાની સંભાવના રહે છે, તેથી આ રોગને અટકાવવા લગ્ન પહેલા લગ્ન કરનાર પાત્ર માયનોર છે કે નહિ તેનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે. આ ટેસ્ટ દરમિયાન ડોક્ટરોએ જણાવેલ કે માનવ લોહીમાં રહેલા રક્તકણોમાં આવેલું હિમોગ્લોબીન ખુબજ અગત્યનું તત્વ છે, જે ફેફ્સમાંના ઓક્સિજનને શરીરના વિવિધ અંગોમાં પહોચાડે છે, જેનાથી શરીર કાર્યરત અને તંદુરસ્ત રહે છે શરીરની લાલાશ હિમોગ્લોબીનને આધારી છે. બાળકના શરીરમાં β-ચેઈનની ખામી થોડી ઓછી હોય તો તેને થેલેસેમિયા માયનર વ્યક્તિ કહેવાય છે જે શરીરે તંદુરસ્ત હોય છે તેને લોહી ચઢાવવાની જરૂર પડતી નથી. આ કેમ્પમાં સંસ્થાના 221 વિદ્યાર્થોઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવેલ. સંસ્થાના આચાર્ય ડો. જી. પી. વડોદરિયા તથા એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. પી. એચ. લાખાણી તથા સ્ટાફે સમગ્ર કાર્યક્ર્મને સફળ બનાવવા બદલ એન. એસ. એસ. સ્વયંમ સેવકો, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ. હિમોગ્લોબીનમાં ચાર ચેઈનની રચનાહિમોગ્લોબીનમાં ચાર ચેઈનની રચના હોય છે. જેમાં α-આલ્ફા, β-બીટા, γ-ગેમા અને δ-ડેલ્ટા નામની ચેઈન જોવા મળે છે. આ ચારેયનું પ્રમાણ યોગ્ય હોય તો રક્તકણોનું આયુષ્ય 90 થી 120 દિવસનું જેટલું રહે છે. થેલેસેમિયા એ ”જીનેટિક ડીસીઝ ” છે. જેમાં રંગસૂત્રોમાં આવેલું જનીન આ રોગ માટે જવાબદાર છે. મેજરના દર્દીના રક્તકણોનું આયુષ્ય 20 થી 30 દિવસથેલેસેમિયા મેજરના દર્દીના શરીરમાંના રક્તકણો નું આયુષ્ય 20 થી 30 દિવસ જેટલું હોય છે તેથી આવા બાળકોને શરીરમાં ફિકાશ ,નબળાઈ ,થાક લાગવો ,વારંવાર બીમાર પડવું ,શાળામાં ભણવામાં ધ્યાન કેન્દ્રિત ના થઇ શકે અને ઘણીવાર હદયની કામગીરી પર આડઅસરથી ccf થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:55 am

સફળતાની કહાણી:ટોપ બોર્ડિંગ સ્કૂલ છોડી વતન પરત આવી જેઇઇ મેઈનમાં ટોપર રહ્યો

જેઇઇ મેઇન્સમાં ભાવનગરના વિક્રમાદિત્યનો દમ દેખાડ્યો છે. ટોપ બોર્ડિંગ સ્કૂલ છોડી વતન પરત ફર્યો અને ઓજની ફેકલ્ટી અને પરિવારના ટેકાથી ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. દેશના ટોચના બોર્ડિંગ સ્કૂલમાં ભણતા વિક્રમાદિત્યે જ્યારે જેઇઇ મેઇન્સ ક્રેક કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેણે જાણીબૂઝીને ભાવનગર પરત ફરવાનો અને ઓજ સંસ્થામાં જોડાવાનો નિર્ણય લીધો. આ નિર્ણય તેના માટે ગેમચેન્જર સાબિત થયો. પ્રતિષ્ઠિત બોર્ડિંગ સ્કૂલની સુવિધાઓ અને વાતાવરણ છોડીને વતન પરત ફરવું એ કોઈ સહેલો નિર્ણય નહોતો. પરંતુ વિક્રમાદિત્ય સમજી ગયો હતો કે જેઇઇ મેન્સની તૈયારી માટે ભણતરની ભવ્યતા નહીં, પરંતુ એકાગ્રતા અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. તેની આ શાર્પ ફોકસ અને ડેડિકેશન જ તેની જેઇઇ મેઇન્સમાં સફળતાની સૌથી મોટી ચાવી છે. વિક્રમાદિત્યની આ સફરમાં તેના માતા અને પિતા વૈભવ તંબોલીનો ભાવનાત્મક અને વ્યવહારિક ટેકો હંમેશા તેની સાથે રહ્યો. પરિવારે તેને પ્રવાસો અને અનુભવો દ્વારા જીવનની વ્યાપક સમજ પણ આપી. વિક્રમાદિત્ય બાળપણમાં અંડર-12 જિલ્લા ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે. ચેસની રમતમાંથી મળેલી ધૈર્ય અને વ્યૂહરચના ઘડવાની ક્ષમતા તેણે મેઇન્સની તૈયારીમાં પણ ઝીલી છે. નીલમબાગ પેલેસમાં ટેનિસનો શોખીનભણતર ઉપરાંત વિક્રમાદિત્ય રમતગમતમાં પણ એટલો જ પારંગત છે. તે નીલમબાગ પેલેસ ખાતે આવેલા ટેનિસ કોર્ટમાં નિયમિત ટેનિસ રમે છે. ટેનિસ પ્રત્યેના તેના શોખ અને નિયમિત પ્રેક્ટિસ દર્શાવે છે કે તે માત્ર એક ભણતરના ટોપર જ નહીં, પરંતુ સર્વાંગી વ્યક્તિત્વ ધરાવતો વિદ્યાર્થી છે. રમતગમતે તેનામાં સ્પર્ધાત્મક ભાવના અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવાની ટેવ વિકસાવી છે, જે તેની એકાગ્રતામાં વધુ વધારો કરે છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:54 am

પ્રાદેશિક કનેક્ટિવિટીમાં થશે વધારો:અડધો કલાકમાં ભાવનગરથી સુરત પહોંચાડતી વેન્ચુરાની હવાઇ સેવાને પુન: સ્થાપિત કરાઇ

વેન્ચુરા એરકનેક્ટે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, અગાઉ ભાવનગર-સુરત વચ્ચે વેન્ચુરા એરકનેક્ટની નોન-શેડ્યુઅલ ફ્લાઇટ ચાલતી હતી, અને બંધ થઇ ગઇ હતી, જેનો હવે પુન: પ્રારંભ થવા જઇ રહ્યો છે. સુરતને અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સાથે જોડતા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી મુસાફરીનો સમય ફક્ત 30 મિનિટનો થઈ ગયો છે. સુરત સ્થિત પ્રાદેશિક કેરિયર વેન્ચુરા એરકનેક્ટે શહેરને અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સાથે જોડતા ફ્લાઇટ રૂટ રજૂ કર્યા છે, જેનાથી સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડીને માત્ર 30 મિનિટનો થઈ ગયો છે. 12 વર્ષથી વધુ સમયથી, વેન્ચુરા એરકનેક્ટ સુરત-અમદાવાદ, સુરત-ભાવનગર, સુરત-રાજકોટ અને સુરત-અમરેલી રૂટ પર દૈનિક સેવાઓ પ્રદાન કરી રહી છે, જેમાં સેસ્ના ગ્રાન્ડ કારવાં 9-સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વેન્ચુરા એરકનેક્ટ વર્ષ 2014થી નોન-શિડ્યુઅલ ફ્લાઇટનું સંચાલન કરી રહી હતી અને ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરી 2026થી બંધ થઇ ગઇ હતી. ભાવનગરના સાંસદ,કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની યાદી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી સાથે ટેલીફોનિક રજૂઆત કરી અને સત્વરે ભાવનગરની આ વિમાની સેવા ફરીથી શરૂ કરવા માંગ કરી હતી. અને બંધ થયેલી ભાવનગર-સુરત વિમાની સેવાને ફરીથી શરૂ કરવા લીલીઝંડી અપાઈ છે અને આજથી નાઇન સિટર એરક્રાફ્ટની સુવિધા પુનઃ પ્રાપ્ય બની છે. સુરત શહેરની હવાઈ સેવા આપતી કંપની વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની ડેઇલી હવાઈ સેવા ફરી શરૂ કરાઈ છે. 9 સીટર આધુનિક વિમાનમાં પાઇલોટની બિલકુલ પાછળ બેસીને આકાશ માપવાનો અનુભવ હવે સામાન્ય માણસના બજેટમાં છે. વેન્ચુરાની આ સેવામાં વિન્ડો સીટનો વધારાનો ચાર્જ નથી. વેન્ચુરાએ સુરત ખાતે જ અત્યાધુનિક વિમાન મેન્ટેનન્સ સેન્ટર શરૂ કર્યું છે. આ અંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને ભાવનગર-સુરતની એરકનેક્ટિવીટી ચાલુ કરવા રજૂઆત કરી હતી. વિમાની રૂટ અને સમય

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:51 am

વેરાની વસૂલાત:એકજ દિવસમાં રૂપિયા 1.98 કરોડનો ઘરવેરો ભરપાઈ થયો

વર્તમાન નાણાકીય વર્ષના મિલકતવેરા ભરપાઈ કરવામાં હવે માત્ર દોઢ મહિનાનો સમય જ બાકી હોવાથી મિલકત વેરો વસૂલવા માટે પણ કોર્પોરેશન દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી છે. આજે બુધવારે એક જ દિવસે 1.98 કરોડનો મિલકત વેરો ભરપાઈ થયો છે અને 20 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. ભાવનગર કોર્પોરેશનના મિલકત વેરા વિભાગ દ્વારા આજે તા.18ના રોજ કુલ 105 કરદાતાઓ દ્વારા 1.98 કરોડનો મિલ્કત વેરો ભરપાઈ કરવામાં આવતાં મહાનગરપાલિકાની ચાલુ નાણાકીય વર્ષની મિલ્કત વેરાની કુલ આવક 159.77 કરોડ થયેલ છે. ઘરવેરા આકરણી રજીસ્ટરે નોંધાયેલ કુલ 3.10 લાખ કરદાતાઓ પૈકી કુલ 1.92 લાખ કરદાતાઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવેલ છે. તા.18ને બુધવારના રોજ ઘરવેરા વિભાગની રિકવરી ટીમ દ્વારા કુલ 20 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલ Crave Eatable - બચુભાઇ દૂધવાળાનો પણ સમાવેશ થાય છે. જેનો 19.97 લાખનો મિલ્કત વેરો ભરપાઈ કરવાનો બાકી હોવાથી સીલ કરવામાં આવેલ છે. ચાલુ નાણાંકીય વર્ષને પૂર્ણ થવામાં હવે દોઢ માસ જેટલો જ સમય બાકી હોવાથી આગામી દિવસોમાં વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી વધુમાં વધુ મિલકતોને સીલ કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:47 am

વેધર રિપોર્ટ:રાતના સમયે 19 ડિગ્રી તાપમાને ઠંડીની વિદાઇનો થયેલો આરંભ

ભાવનગર શહેરમાં રાતના સમયે ઠંડી ધીમી ગતિએ વિદાઇ લઇ રહી છે. આજે શહેરમાં લઘુત્તમ .ષ્ણતામાન 19 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં રાતનું ઉષ્ણતામાન સામાન્ય હોવું જોઇએ તેનાથી 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. હવેના દિવસોમાં શહેરમાં રાતનું તાપમાન વધશે અને ઠંડીનો ચમકારો ગાયબ થશે તેવી આગાહી છે. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 19 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 12 કિ.મી. થઇ હતી જ્યારે સાંજના સમયે પવનની ઝડપ વધીને 14 કિ.મી. નોંધાઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 57% હતુ તે સાંજે 37% નોંધાયુ હતુ. રાતના સમયે તાપમાનમાં વધારો

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:47 am

સર્જક સાથે સંવાદ:સત્ય અને સંવેદનાથી સમાચારો રજૂ કરવા પત્રકારની ફરજ

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ” વિષયક એક દિવસીય સેમિનાર અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયો જેમાં સૌરાષ્ટ્ર સમાચારના વરિષ્ઠ પત્રકાર તારકભાઈ શાહે ડિજિટલ મીડિયાના વધતા પ્રભાવ, ફેક્ટ-ચેકિંગની આવશ્યકતા અને જવાબદાર પત્રકારત્વની ભૂમિકા વિશે જણાવી કહ્યું હતું કે, આજનો સમય હરિફાઈ અને ગતિનો છે. છાપું સવારમાં વાચકો સુધી પહોંચે છે, જ્યારે સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મિનિટોમાં લોકો સુધી પહોંચી જાય છે, પરંતુ ઝડપ સાથે વિશ્વસનીયતા જાળવવી અત્યંત જરૂરી છે. બદલાતા સમયમાં એઆઈનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. પરંતુ પત્રકાર મશીન નહીં, સંવેદનાસભર માનવી બનવો જોઈએ. સમાજની વચ્ચે રહીને, સત્યને વળગી રહી અને સંવેદનાથી સમાચારો રજૂ કરવું પત્રકારની પ્રાથમિક ફરજ છે. એમકેબી યુનિ.ના ગુજરાતી વિભાગના વડા ડૉ. મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને કારણે સાહિત્યમાં સર્જનાત્મકતા અને અભિવ્યક્તિના નવા આયામો ઉમેરાયા છે અને લેખકોને વૈશ્વિક વાચકવર્ગ સાથે સીધું જોડાવાની અનોખી તક મળી છે. ફિઝિકલ બુક વાંચવાનો આનંદ, સ્પર્શ અને અનુભવ અનોખો હોય છે, જ્યારે ડિજિટલ બુક સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં એ સ્પર્શાનુભૂતિ આપી શકતી નથી. તેમ છતાં, ડિજિટલ યુગમાં ગુજરાતી સાહિત્યની મોટાભાગની મહત્વપૂર્ણ કૃતિઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે અને નોઘાવદરથી ન્યૂયોર્ક સુધી માત્ર એક ક્લિકથી પહોંચી શકાય છે. સંયુક્ત માહિતી નિયામક અને પ્રેસ અકાદમીના સચિવ જયેશભાઈ દવે અને સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ભાવનગર જિલ્લા માહિતી કચેરીના ઈ.ચા. નાયબ માહિતી નિયામક રેસુંગ ચૌહાણે સૌનું શાબ્દિક સ્વાગત કરી આવાકાર્યો હતો. આભારવિધિ જૂનાગઢના નાયબ માહિતી નિયામક નરેશભાઈ મહેતાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન રાધિકાબેન વ્યાસ અને માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:46 am

બજેટમાં ભાવનગરને ફાયદો:સરકારી હોસ્પિટલમાં ગરીબ દંપતિ માટે IVFની સુવિધા મળશે

આજરોજ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંદાજપત્ર વિધાનસભામાં રજૂ થયું. જેમાં ભાવનગર સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ₹ 3,354 કરોડ ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર માટે ₹ 186 કરોડ, ભાવનગર સહિતની સરકારી હોસ્પિટલમાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે ₹ 153 કરોડ, અમૃત મિશન 2.0 હેઠળ નળ, ગટર, પરિવહન જેવા કામો માટે ભાવનગર સહિત અન્ય શહેરો માટે ₹ 1900 કરોડ ફાળવ્યા છે. છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹ 60 કરોડની જોગવાઇ આ ઉપરાંત ભાવનગરને લાગે વળગે છે ત્યાં સુધી સ્પોટર્સ કોમ્પ્લેક્સ, અંડરપાસ, કન્વેન્શન સેન્ટર, મહાનગરપાલિકામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ, સરકારી હોસ્પિટલમાં ગરીબ દંપતિ માટે IVF ની સુવિધા, ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ માટે આર્થિક સહાયની જોગવાઈ, વિદ્યાર્થીઓ તથા વાંચકો માટે ડિજિટલ લાયબ્રેરી તેમજ શ્રમિકો માટે ધનવંતરી રથની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. તેમ જણાવી બજેટ આજે ગુજરાત સરકાર દ્વારા રજૂ થયું જેને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનોએ આવકાર્યું છે. અંદાજપત્ર એ સર્વાંગી વિકાસ સાથે વૈશ્વિક આયોજનોને કેન્દ્રમાં રાખતું અંદાજપત્ર હોવાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર અપાયો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે કે રમતગમત, યુવા રોજગાર, શિક્ષણ અને શિષ્યવૃત્તિઓ, ઉદ્યોગ, કૃષિ પશુપાલન, મહિલા સશક્તિકરણ, ધર્મસ્થાનોના વિકાસ સાથે પ્રવાસન અને ઉડ્ડયન બાબતોમાં અંદાજપત્રમાં થયેલ જોગવાઈને જિલ્લા ભાજપ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે. સર્વોત્તમ ડેરીના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે બજેટને આવકાર્યુ છે. બજેટથી શ્રમજીવી વર્ગ ખેડૂતો નિરાશ : સીટુગુજરાતના લાખો શ્રમજીવીઓ, કર્મચારીઓ, ખેડૂતો અને આંગણવાડી આશા વર્કર સહિતના સેવા આપનારાને ગુજરાતના બજેટમાં કોઈપણ પ્રકારની રાહતો આપી નથી તેમ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના ગુજરાતના મહામંત્રી અરુણ મહેતા જણાવી બજેટને શ્રમજીવીઓ કર્મચારીઓ આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો વિરોધી હોવાનું પણ ઉમેર્યુ હતુ ગુજરાતમાં લાખો ફિક્સ પગારદારો, કરાર આધારિત નોકરિયાતો અને આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓ પણ આ બજેટમાં આ પ્રથા બંધ કરીને કાયમી કરાશે તેવી આશા રાખીને બેઠા હતા તેવા તમામને પણ સરકારે બજેટમાં અંગૂઠો બતાવ્યો છે. આ બજેટમાં શ્રમજીવી ઉપરાંત પેન્શનરોને પણ તદ્દન નિરાશા સાંપડી છે. જેઓ આ બજેટ પર આશા રાખીને બેઠા હતા પરંતુ તેમાં આ બજેટ ઊણુ ઉતર્યુ છે. ભાવનગરનો વિકાસ ફરી ઉપેક્ષિત : કોંગ્રેસગુજરાત વિધાનસભામાં આજે નાણા મંત્રી દ્વારા રજૂ કરાયેલા રાજ્યના બજેટ પર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ લાલભાએ તીખી ટીકા કરતા જણાવ્યું હતું કે આ બજેટ વાસ્તવમાં ભાજપનું ચૂંટણીલક્ષી મેનિફેસ્ટો જ છે. તેમણે કહ્યું કે દર ચૂંટણી પહેલાં મોટા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં અમલ થતો નથી, અને આ બજેટ પણ તે જ પરંપરાનું પુનરાવર્તન છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો માટે કરાયેલી જાહેરાતો માત્ર આંકડાકીય ચમત્કાર છે. સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગને કોઈ વાસ્તવિક રાહત આપવામાં આવી નથી. રોજગારી, મોંઘવારી અને જીવનજરૂરી ખર્ચ જેવા મહત્વના મુદ્દાઓ અંગે પણ બજેટ મૌન છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:45 am

ગુનો દાખલ કરાયો:ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડા ભણતી દીકરી પર હુમલો, પિતાને પણ ફોન પર ધમકી

તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના, શહેરમાં કોઈ સાથે ખોટું નહિ કરતા તો ઈશ્વરની શક્તિ, તમારી છોકરી સાથે ખોટું નહિ થવા દે, ભગવાનથી પ્રાર્થના કોઈનું કરેલું કોઈના બાળ બચ્ચાએ ભોગવવું ના પાડે, હવે ધ્યાન રાખજો, કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો, આવા મેસેજને પગલે મહિલા કોર્પોરેટરના પતિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં સાયબર ક્રાઇમે વરીયારી બજાર હોડી બંગલા ખાતે રહેતા એક બિલ્ડર નામે રિફાઇ મુહમ્મદ અસ્ફાક નઇમુદ્દીનને નોટિસ આપી છે. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને જે મેસેજ આવ્યા છે. તે ડમી નંબર પરથી આવ્યા છે. જે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હતો. બિલ્ડરે આ મેસેજ કર્યા હોવાની વાત પણ પોલીસે જણાવી છે. હાલમાં સાયબર ક્રાઇમે બિલ્ડરને નોટિસ આપી છે. મહિલા કોર્પોરેટરના પતિને મોબાઇલ વોટસએપ પર આવેલી ગર્ભીત ધમકી અને દીકરી પર કેનેડામાં થયેલા હુમલા બાબતે ફરિયાદ આપી છે. જેના આધારે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. કેનેડામાં સ્પ્રે છાંટી 3 વખત હુમલો થતાં ભારત આવીમહિલા કોર્પોરેટરની દીકરી કેનેડામાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. 27મી જુલાઈ-24એ કેનેડામાં મહિલા કોર્પોરેટરની પુત્રી પર 3 અજાણ્યાએ આંખોમાં પેપર સ્પ્રે છાંટી ભાગી ગયા હતા. ત્યાર પછી વર્ષ 2025માં કેનેડામાં મહિલા કોર્પોરેટરની દીકરી પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ઓકટોબર-25માં ફરી એકવાર કોર્પોરેટરની દીકરીનો પીછો કરી તેની ગાડીને ટક્કર મારી ભાગી ગયા હતા. મહિલા કોર્પોરેટરની દીકરી ભારત આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:34 am

13.32 કરોડના હીરા ગાયબ કરનારો દલાલ પકડાયો:હીરા દલાલ 12 કરોડ રકમ ક્રિકેટના સટ્ટામાં હારી ગયો

સુરતમાં 3 હીરાના વેપારીઓ પાસેથી 13.32 કરોડના હીરા દલાલે વેચાણ માટે કલક્તા, હૈદરાબાદ અને મુંબઈના વેપારીઓને આપવાના નામે બારોબાર વેચી મારી કરોડોની રકમ ઓહયા કરી ગયો હતો. 12 કરોડ તે ક્રિકેટના સટ્ટામાં હારી ગયો હતો. આ ગુનામાં હીરાદલાલ છેલ્લા 2 મહિનાથી ભાગતો હતો. હીરા દલાલ સાહીલ શાહ પત્નીને મળવા માટે પોતાના ઘરે આવ્યો હતો. પકડાયેલા હીરા દલાલનું નામ સાહીલ હસમુખ શાહ(43)(રહે,સિધ્ધચક્ર એપાર્ટ, પાર્લે પોઇન્ટ) છે. ઈકોસેલે તેની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. હીરાદલાલે 13.32 કરોડના 3 વેપારીઓના હીરા કોને વેચાણ કર્યા અને તે રૂપિયા શું કર્યુ તે બાબતે તપાસ શરૂ કરી છે. વધુમાં હીરા દલાલ સાહીલ શાહ હીરાના વેપારી અલ્પેશ શાહ પાસેથી 5.86 કરોડ, પ્રેમલ શાહ પાસેથી 6.50 કરોડ અને ધીરૂ દીયોરા પાસેથી 95.74 લાખના હીરા લઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:31 am

ફિઝિયોથેરાપી એક્સરસાઈઝ અંગે માર્ગદર્શન સત્ર યોજાયું:વોર્મ-અપ વિના કસરત, વધુ વજન ઉપાડવું, ખોટી ટેક્નિક ઇજાનું કારણ બને છે

ધોડદોડ રોડ જિમનેશનમાં વ્યાયામ દરમિયાન સુરક્ષા, યોગ્ય પોઝ્ચર, ઈજાઓથી બચાવ તથા લાંબા સમય સુધી બેસી કામ કરનારા લોકો માટે ખાસ ફિઝિયોથેરાપી એક્સરસાઈઝ અંગે માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું નેતૃત્વ ફિઝિયોથેરાપિસ્ટ તથા ફિટનેસ કોચ અફરીન જસાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સેશન દરમિયાન જિમ સભ્યોને વોર્મ-અપ અને કૂલ-ડાઉનનું મહત્વ, મસલ્સ કેવી રીતે કાર્ય કરે છે, ખોટી ટેકનિકથી થતી ઈજાઓ, તેમજ વર્કઆઉટ પછી થતી પીડા સામાન્ય છે કે ગંભીર આ વિષય પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગળા, ખભા, કમર અને ઘૂંટણના દુખાવાથી બચવા માટે યોગ્ય કસરતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે દર 30 થી 40 મિનિટે બ્રેક લેવાની સલાહ, યોગ્ય રીતે બેસવાના પોઝ્ચર અને વર્કસ્ટેશન સેટઅપ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. જીમ કરતા લોકોમાં સર્જાતા પ્રશ્નો અને તેના ઉત્તર દરરોજ કેટલા મિનિટ સ્ટ્રેચિંગ કરવું જોઈએ?ઉ. રોજ ઓછામાં ઓછા 10થી 15 મિનિટ સ્ટ્રેચિંગ કરવાથી મસલ્સ ફ્લેક્સિબલ રહે છે અને પેઈનથી બચી શકાય છે. વર્કઆઉટ પહેલા વોર્મ-અપ કરવું કેમ જરૂરી છે?ઉ. વોર્મ-અપ મસલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે, જેના કારણે ઈજાનું જોખમ ઘટે છે અને પરફોર્મન્સ સુધરે છે. વર્કઆઉટ પછી થતો દુખાવો સામાન્ય છે તે કેવી રીતે જાણવું ?ઉ. હળવો દુખાવો સામાન્ય છે અને તે 24 થી 48 કલાકમાં ઓછો પણ થઈ જાય છે. પરંતુ તીવ્ર પીડા, સોજો અથવા લાંબા સમય સુધી દુખાવો રહે તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસવાથી થતું નેક અને બેક પેઈન કેવી રીતે ઘટાડવું?ઉ. દર 30થી 40 મિનિટે ઊભા થઈને હળવી સ્ટ્રેચિંગ કરવી જોઇએ, ખુરશી અને સ્ક્રીનને યોગ્ય ઊંચાઈઆ રાખવી અને સીધા પોસ્ચરમાં બેસવું જોઇએ. કસરત કરતી વખતે સૌથી સામાન્ય ભૂલ શું થાય છે?ઉ. ખોટી ટેક્નિક, વધારે વજન ઉપાડવું અને વોર્મ-અપ વગર કસરત શરૂ કરવી, આ ત્રણ મુખ્ય ભૂલો ઈજાનું કારણ બને છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:29 am

‘મંદિર વિજ્ઞાન’ વિષય પર આયોજન યોજાયું:મંદિર એ માત્ર પૂજાનું જ સ્થળ નહીં, વિજ્ઞાન અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર છે

VNSGUના બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગ દ્વારા “મંદિર વિજ્ઞાન” વિષય પર બે દિવસીય સંવાદ-સેમિનારનું આયોજન કુલપતિ કિશોરસિંહ ચાવડા અને કુલ સચિવ રમેશદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. જેનું આયોજન વિભાગના સંયોજક મેહુલ પટેલ તથા ઇવેન્ટ સંયોજક ટેમ્પ. આસિસ્ટન્ટ પ્રોફેસર નિધિ નાવડીવાલા દ્વારા કરાયું હતું. આસિસ્ટન્ટ પ્રોફેસર કિનલ પટેલે વક્તવ્યમાં જણાવતા કહ્યું કે,

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:26 am

પોલીસે બે ગઠીયાની ધરપકડ કરી:ઠગ વિવેક ચૌહાણ દિવસમાં 3 પેકેટ સિગારેટ ફૂંકતો, રોજ હોટેલમાં રહેતો

શહેરમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે એક કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ ગુનામાં અમરોલી પોલીસે બે ગઠીયાની ધરપકડ કરી છે. ગઠિયાએ પોતે રેલવેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી મહિલા સહિત 4 જણાને શિકાર બનાવ્યા હતા. અમરોલી પોલીસના પીઆઈ જે.બી.વનારની સૂચનાથી સ્ટાફે સૂત્રધાર વિવેક પ્રફુલ ચૌહાણ(32)(રહે,ખારા કુવા પાસે, શાપુર, જુનાગઢ) અને રવિ કિશોર ચોટલીયા(30) (રહે,કુંભનાથ મહાદેવ મંદિર પાસે, કાલાવાડ, જામનગર)ની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી વિવેક ચૌહાણ સુરત રેલવે સ્ટેશનની પાસે હોટલમાં 1300 રૂપિયાના ડેઇલી ભાડામાં રહેતો હતો. એટલું જ નહિ તે ડેઇલી ત્રણ પેકેટો સિગારેટના પીતો જતો હતો. સૂત્રધાર આરોપી વિવેક ચૌહાણ રેલવેમાં મુંબઈ ખાતે વર્ષ 2018 થી 2022 સુધીમાં કોન્ટ્રાક્ટમાં ટેક્નીકલ આસિટન્ટ તરીકે નોકરી કરતો હતો. તે પોતે લોકો પાયલોટ ન હતો છતાં તે ભોગ બનેલાને લોકો પાયલોટ હોવાની ડંફાશ મારી રેલવેમાં નોકરી આપવાના સપના બતાવતો હતો. એક મહિલા સહિત 4 જણા પાસેથી સૂત્રધારે એક કરોડથી વધુની રકમ પડાવી હતી. રેલવેના બોગસ લેટરો મોબાઇલમાં બનાવતો હતોવિવેક ચૌહાણ રેલવેમાં નોકરી આપવાના સપના બતાવી લોકો પાસેથી લાખોની રકમ પડાવી રેલવેના ખોટા ઓર્ડર બનાવી આપતો હતો. આ બોગસ લેટરો વિવેક રવિ ચોટલીયા પાસે બનાવતો હતો. રવિ આવા બોગસ લેટરો મોબાઇલમાં બનાવી પાછો વિવેકને મોકલી આપતો હતો. આ કામ માટે વિવેક રવિને કમિશન પણ આપતો હતો. વળી વિવેક અને રવિ પિતરાઇ ભાઈઓ છે. એક યુવકે તો નોકરી માટે રૂ. 47.36 લાખ આપ્યા

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:22 am

બોર્ડની પરીક્ષા:ધો.10-12ના 563માંથી 203 સેન્ટર પાસે મેટ્રોની કામગીરી, ટ્રાફિકજામ થવાની પૂરેપૂરી શક્યતા, વિદ્યાર્થીઓએ એક કલાક પહેલાં પહોંચવું પડશે

26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધો. 10-12ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે ડીઇઓએ 563 કેન્દ્રોના ક્યૂઆર કોડ સાથેની યાદી જાહેર કરી છે. આ લોકેશન દ્વારા વિદ્યાર્થીઓ એક ક્લિકમાં ગુગલ મેપ પર પરીક્ષા કેન્દ્રનું લોકેશન અને પહોંચવાનો સમય જાણી શકશે.ડીઇઓએ સ્કૂલોને તેમના નોટિસ બોર્ડ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ, વાલીઓના ગ્રુપોમાં મોકલવા આદેશ કર્યો છે. આ વખતે 1.61 લાખ વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા આપશે. ડીઇઓ કહે છે કે શહેરમાં મેટ્રોની કામગીરીથી રસ્તાઓ સાંકડા થયા છે અને ડાયવર્ઝન આપ્યા છે. પરીક્ષાના દિવસે છેલ્લી ઘડીએ ટ્રાફિકમાં ફસાઈ જવું એ મોટું જોખમ છે. મેટ્રોની કામગીરીથી 203 કેન્દ્રોના વિદ્યાર્થીઓને એક કલાક પહોંચવું પડશે. મારા કામની વાતઆ રીતે ડાઉનલોડ કરી શકાશે ટ્રાફિક માટે આયોજન જરૂરી 1. રૂટની પૂર્વ તૈયારી : પરીક્ષાના અગાઉના દિવસે કેન્દ્ર પર જઈ રસ્તો અને સમયની ચોકસાઈ કરી લો.2. સમયનું આગોતરું આયોજન : ટ્રાફિકની ગણતરી રાખી અડધો કલાક વહેલા નીકળવાનું ખાસ આગ્રહપૂર્વક આયોજન કરી લો.3. ડિજિટલ નકશાનો ઉપયોગ : ઘરેથી નીકળતા પહેલા ગૂગલ મેપ્સ જોઈ લાલ ટ્રાફિકવાળા રસ્તાઓ ટાળી વૈકલ્પિક માર્ગ પસંદ કરો.4. યોગ્ય વાહનની પસંદગી : સાંકડા રસ્તા અને ડાયવર્ઝનમાંથી ઝડપથી નીકળવા માટે શક્ય હોય તો ટુ-વ્હીલરનો જ ઉપયોગ કરો.5. માનસિક શાંતિનો લાભ : કેન્દ્ર પર વહેલા પહોંચવાથી બેઠક શોધવામાં સરળતા રહેશે , મન શાંત રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:20 am

નોકરી ન્યુઝ:SBIમાં FLC કાઉન્સેલર-ડાયરેક્ટરની 257 જગ્યા, નિવૃત્ત અધિકારીઓને તક

બેંકિંગમાંથી નિવૃત્ત થયા બાદ ફરીથી કેરિયર શરૂ કરવા ઈચ્છતા અનુભવીઓ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી જાહેર કરાઇ છે. SBIમાં FLC (ફાઈનાન્શિયલ લિટરેસી સેન્ટર) કાઉન્સેલર્સ અને ડાયરેક્ટર્સની 257 જગ્યા પર ભરતી શરૂ થઈ છે. તેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, માત્ર ઇન્ટરવ્યુના આધારે જ પસંદગી થશે. આ ભરતીમાં 60 વર્ષથી વધુ અને 63 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા રિટાયર્ડ બેંક ઓફિસરો જ અરજી કરી શકશે. FLC કાઉન્સેલર માટે સ્કેલ-I થી IV ના નિવૃત્ત અધિકારીઓ અને ડાયરેક્ટર માટે સ્કેલ-II કે તેથી ઉપરના અધિકારીઓ પાત્ર ગણાશે. જો પૂરતા પ્રમાણમાં અધિકારીઓ નહીં મળે તો ક્લેરિકલ સ્ટાફને પણ તક મળી શકે છે. ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. પસંદગી પામેલા ઉમેદવારોનો કાર્યકાળ 1 થી 3 વર્ષનો રહેશે (65 વર્ષની વય મર્યાદા સુધી). પગાર ધોરણ બેંકના નક્કી કરેલા સ્કેલ અને અનુભવના આધારે મળવાપાત્ર રહેશે. ઉમેદવારો આ રીતે અરજી કરી શકશે

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:15 am

ચર્ચમાં મહાપ્રાર્થના સભા યોજાઈ:‘મનુષ્ય ધૂળમાંથી જન્મ્યો અને ધૂળમાં જ ભળી જશે’

ખ્રિસ્તી સમુદાય દ્વારા ભસ્મ બુધવારની મહાપ્રાર્થના સભા ચર્ચામાં યોજાઇ હતી. ખ્રિસ્તી ધર્મમાં ’ભસ્મ બુધવાર’ને અત્યંત પવિત્ર દિવસ મનાય છે. આ દિવસથી ખ્રિસ્તીઓના ઉપવાસની શરૂઆત થાય છે, જેને ‘’લેન્ટ’’ (Lent) કહેવામાં આવે છે. આ સમયગાળો ઇસ્ટર સન્ડેના 40 દિવસ પહેલા શરૂ થાય છે. આજે નાનપુરા માઉન્ટ કાર્મેલ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનુ આયોજન કરાયું હતું. જેમાં ફાધર ધર્મગુરૂએ પ્રાર્થના બાદ ભક્તોના કપાળ પર ભસ્મ વડે ક્રોસનું નિશાન બનાવી આશિર્વાદ આપ્યા હતા. ભસ્મએ વાતનું પ્રતીક છે કે મનુષ્ય ધૂળમાંથી જન્મ્યો છે અને અંતે ધૂળમાં જ મળી જવાનો છે. ભસ્મ બુધવારથી શરૂ થતા 40 દિવસો ઈસુ ખ્રિસ્તે જંગલમાં વિતાવેલા 40 દિવસોના સ્મરણમાં પાળવામાં આવે છે. આ સમય દરમિયાન ખ્રિસ્તીઓ ઉપવાસ અને પ્રાર્થના,દાન-ધર્મ, કરી પાપોની ક્ષમા માંગે છે. બુધવારથી શરૂ થતા 40 દિવસો ઈસુ ખ્રિસ્તે જંગલમાં વિતાવેલા 40 દિવસોના સ્મરણમાં પાળવામાં આવે છે. આ સમય દરમિયાન ખ્રિસ્તીઓ ઉપવાસ અને પ્રાર્થના,દાન-ધર્મ, કરી પાપોની ક્ષમા માંગે છે. ભસ્મ બુધવાર માટે ખાસ પ્રકારે રાખ તૈયાર થાય છેકપાળ પર રાખ લગાવતી વખતે પાદરી કહે છે. ભસ્મ બુધવાર માટે વપરાતી રાખ પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. ગત વર્ષના ‘’પામ સન્ડે’’ ખજૂર રવિવાર વખતે જે ખજૂરીના પાંદડાઓ આશીર્વાદિત કરવામાં આવ્યા હોય છે, તેને સાચવી રાખવામાં આવે છે. ભસ્મ બુધવાર પહેલા તેને બાળીને રાખ તૈયાર કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:13 am

અદ્ભૂત ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન:2500 વર્ષ જૂના મહાવીર સ્વામીનું વેસુમાં સમવસરણ બનાવાયું, 5500 ફૂટમાં આર્ટ ગેલેરી, 8 ભાષામાં 108 ગ્રંથોનું વિમોચન થશે

વેસુમાં 2500 વર્ષ જૂના મહાવીર સ્વામીના સમવસરણ બનાવાયું છે. આચાર્યવિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના ગચ્છાધિપતિરાજ પટ્ટાભિષેકનો 4 દિવસિય ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થશે. જિનશાસનના સર્વોચ્ચ પદ પર આરૂઢ કરવા માટે સુરત વેસુ - ગુરુ લબ્ધિ સામ્રાજ્ય બલર ફાર્મ હેપ્પી એક્સીલેન્સીયા સામે ભવ્ય નગરી ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રથમ વાર એક સમવસરણની દિવ્ય રચના કરવામાં આવી છે. જે સમગ્ર આયોજનનું વિશેષ આકર્ષણ રહેશે. ચઢીને જઈ શકાય એવું વિરાટ ત્રણ ગઢની રચના કલાત્મક રીતે કરાઈ છે. આર્ટ ગેલેરી થશે. ગુરુદેવના જીવનની ઝાંખીને આબેહૂબ રૂપ અપાયું છે. વિશાલ ગેટ, બેનમૂન સ્ટેજને મોટા મોટા ડોમ ઉભા કરાયા છે. દેશ-વિદેશથી ભાવિકોને નિમંત્રિત કરાયા છે. સ્પેશિયલ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. શહેરમાં બિરાજમાન દરેક સમુદાયના આચાર્ય, પદસ્થોને ગુરુ સાધુ-સાધ્વીજીઓને વિનંતી કરતા લગભગ 36 આચાર્ય 3 ગચ્છાધિપતિ એક હજાર સાધુ-સાધ્વીજી કાર્યક્રમની શોભા હશે. આ કાર્યક્રમ સુરત શહેરમાં દેશમાં પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે. જેમાં ચાર દિવસના અદ્ભૂત કાર્યક્રમમાં 19થી 22 ફેબ્રુઆરીનો આ કાર્યક્રમ રહેશે. વિશેષ આ પદવીને નવાજવા મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજકીય નેતાઓ, અનેક સંઘો, સમાજો, ભક્તો, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ગુરૂભક્તિ કરશે. જૈન ધર્મમાં સાધુઓની કક્ષાજૈન ધર્મમાં કોઈપણ મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરે ત્યારે તેને મુનિ અથવા ગણી કહેવામાં આવે છે. ત્યાર પછી પંન્યાસ, ઉપાધ્યાય અને આચાર્યની પદવી મળે છે. દીક્ષા પર્યંત સમગ્ર સમુદાયમાં બધાના પ્રેમ પાત્ર હોય તેની આજ્ઞા સર્વોપરી હોય તે ગચ્છાધિપતિ પદ સુધી પહોંચે છે. ગચ્છાધિપતિ પદ સુધી પહોંચવા આટલા પડાવ પાર કરવા પડેજૈન ધર્મમાં દરેક સમુદાયના ગચ્છાધિપતિઓ હોય છે . ગચ્છાધિપતી એટલે સમગ્ર સમુદાયનું નેતૃત્વ. આચાર્ય ભાગ્યયશસૂરીસ્વરજી મહારાજે જણાવ્યું હતું કે ગચ્છાધિપતિ પદ પહોંચવા માટે અનેક પડાવો પાર કરવા પડે સૌથી મુખ્ય ગુરુજનોનો વિશ્વાસ સંપાદન કરવો પડે. સબળ નેતૃત્વનો ગુણ પ્રગટ કરવો પડે. ગુરુ જે ના નામનો આદેશ કરીને જાય અને આખો સમુદાય તેના પર વિશ્વાસ મૂકે તેને ઉત્તરાધિકારી બનાવાય છે. લબધીસુરી સમુદાયમાં લગભગ 400 જેટલા સાધુ સાધ્વીજીઓ છે. બધાનો પ્રેમ સંપાદન કરવો અને નેતૃત્વ કરવું તે ગચ્છાધિપતિ લાયક બને છે. વી.આર. ટેકનોલોજીથી સમવસરણનું પ્રદર્શન ઊભું કરાયુંઆજથી 2500 વર્ષ પૂર્વે જેમ પ્રભુ મહાવીર સ્વામીજીનું સમવસરણ રચાયું હતું. એવું જ આબેહૂબ 81 ફૂટનું ડાયા મીટરમાં પથરાયેલું વિશાળ 36 મીટર ઉંચુ ત્રણ માળવાળું સમવસરણ ઉભું કરાયું છે. જેમાં દરેક વ્યક્તિ ચઢીને જઈ શકશે અને બેસીને લાઈવ સમવસરણને જાણી સમજીને અનુભવી શકશે. સાક્ષાત સમવસરણની ઝાંખી પ્રાય પ્રથમવાર નિર્માણ કરાઈ છે. વી.આર. ટેકનોલોજીથી સમવસરણનું પ્રદર્શન ઉભું કરાયું છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:10 am

‘સરસ્વતીધામ’ અંગે બેઠક મળી:શિક્ષણયજ્ઞના અજોડ કાર્યની ભવિષ્યમાં વિશ્વકક્ષાએ નોંધ લેવાશે : પી.પી. સ્વામી

માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતનાં 18 રાજ્યોમાં સરસ્વતીધામ નિર્માણયજ્ઞ ચાલી રહ્યો છે. પાલ ખાતે ટ્રસ્ટ સાથે નિ:સ્વાર્થ ભાવે જોડાયેલા કર્મયોગીઓની બેઠક મળી હતી. દેશના અંતરિયાળ, પહાડી, દુર્ગમ, સરહદી વિસ્તારો કે જ્યાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદ ન પહોંચતી હોય તેવી સંસ્થાઓની પસંદગીને અગ્રતા આપવામાં આવે છે. આવાં સ્થળોએ સરસ્વતીધામનું નિર્માણ કરવાથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું તેમજ ભારતીય સંસ્કૃતિના જતનનું કાર્ય થાય છે. આ પરામર્શન બેઠકમાં ડાંગ જિલ્લામાં શિક્ષણની જ્યોત જગાવીને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરનાર પી.પી. સ્વામીજીએ આશીર્વચન પાઠવતાં કહ્યું હતું કે, કેશુભાઈ ગોટી અને એમના પરિવારજનો દ્વારા ગરીબોનું ઉત્થાન થાય અને આદિવાસી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે; શિક્ષણયજ્ઞ દ્વારા રાષ્ટ્રનિર્માણનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યથી ગરીબોનું ઉત્થાન અનેક રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ ટ્રસ્ટના કાર્યોની સહર્ષ નોંધ લેવામાં આવી છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવશે. આગામી સમયમાં આ સંસ્થાનાં કાર્યો વિશે પી.એચ.ડી. પણ કરશે એવું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:07 am

મિનિ ફ્લાઇટના લીધે મુસાફરી બનશે સુલભ:વેન્ચુરા એરની અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીની ફ્લાઇટ ફરી શરૂ

વેન્ચુરા એરકનેક્ટે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની સેવા ફરી શરૂ કરી છે. 8 સીટર વિમાનમાં વિન્ડો સીટનો વધારાનો ચાર્જ પણ નથી. વેન્ચુરાએ સ્વિટ્ઝરલેન્ડનું Pilatus PC-12 ચાર્ટર્ડ કાર્યરત કર્યું છે. આ વિમાન કોર્પોરેટ મીટિંગ્સ અને મેડિકલ ઈમરજન્સી માટે મહત્ત્વનું રહેશે. આ ફ્લાઈટનું એન્જિન સ્વિટ્ઝરલેન્ડની પિલાટસ કંપનીનું છે. આ ફ્લાઈટ નાના રનવે પર પણ સરળતાથી લેન્ડિંગ કરી શકે છે. ઓર્ગન ટ્રાન્સફર કરવા માટે ‘દેવ વિમાન’ બનશે એરક્રાફ્ટને મેડિકલ મંજૂરીવેન્ચુરાએ હવે માનવતાનું મિશન પણ ઉપાડ્યું છે. કંપનીના VT-DEV એરક્રાફ્ટને મેડિકલ મંજૂરી મળતા હવે તે ‘દેવ વિમાન’ તરીકે કાર્યરત છે. જે ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગોને અત્યંત ઝડપથી એક શહેરથી બીજા શહેર પહોંચાડી દર્દીઓને નવજીવન આપ્યું છે. આ સેવા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ નજીવા ભાડે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત બનશે મેન્ટેનન્સ હબ : વેન્ચુરાએ સુરતમાં જ અત્યાધુનિક વિમાન મેન્ટેનન્સ સેન્ટર શરૂ કર્યું છે. અત્યાર સુધી મોટા વિમાનોને સર્વિસ માટે મુંબઈ-અમદાવાદ જવું પડતું હતું. આ સુવિધાથી સુરત એરપોર્ટનો દરજ્જો વધશે અને રોજગારી પણ ઊભી થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:05 am

રસોઇયાએ કરી ઠગાઈ:રસોઈયો જમણવારના 3 લાખ લઇ છૂ, તાત્કાલિક બીજો લાવ્યા

લગ્ન પ્રસંગમાં ડિશ દીઠ ભાવ નક્કી કર્યા બાદ એડવાન્સ પેટે રૂ.3.09 લાખ લઇ રસોઈયો ભાગી છૂટ્યો હતો. તેણે લગ્નના બે દિવસ પહેલાં જ ફોન બંધ કરી દેતાં પરિવારે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. પીપલોદ નાકા પાસે પ્રસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ પટેલ કલર કોન્ટ્રાક્ટર છે. 22 નવેમ્બરે તેમની દિકરીના લગ્ન હતા, જેમાં બંને પક્ષોએ જમણવારનો ઓર્ડર અમરોલી રઘુવીર ચોકડી પાસે શિવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રસોઈયા પરેશ ત્રિવેદીને આપ્યો હતો. તેણે ડિશ દીઠ રૂ.230 નક્કી કર્યા હતા, જેથી પ્રકાશભાઇએ 1500 ડિશ તથા વેવાઇએ 1000 ડિશનો ઓર્ડર આપ્યા હતો. બંને જણાએ પરેશ ત્રિવેદીને એડવાન્સ પેટે રૂ.3.09 લાખ આપી દીધા હતા. રસોઈયાની પુત્રીએ એડ્રેસ આપ્યુંપરેશના સરનામે તપાસ કરતાં તેણે મકાન બદલી નાખ્યું હતું. પણ ત્યાં એક બાળકી મળી જે પરેશની હતી, જેથી પ્રકાશભાઇ તેની સ્કૂલ પર જઇને વાત કરતાં તેમણે બાળકીને બોલાવીને સરનામું મેળવ્યું હતું, જે અમરોલી શિવદર્શન સોસાયટી હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 5:03 am

બજેટથી થશે સુરતના મલ્ટિ સેક્ટરનો ગ્રોથ:ટેક્સટાઈલ, MSME, ઈકોનોમિક માસ્ટર પ્લાન માટે 5000 કરોડની જોગવાઈ, હીરા ઉદ્યોગની અવગણના

રાજ્ય બજેટમાં સુરતના ટેક્સટાઈલ, MSME, ઈકોનોમિક માસ્ટર પ્લાન માટે અંદાજે 5000 કરોડની જોગવાઈ છે, જેમાં સ્ટાર્ટઅપથી લઈને MSME, સ્માર્ટ GIDC, એક્સપોર્ટ પ્રોત્સાહન અને દક્ષિણ ગુજરાત ઈકોનોમિક માસ્ટર પ્લાન હોવાથી સુરતને મલ્ટિ સેક્ટર ગ્રોથ મળશે. અદ્યતન સુપર સ્પેશિયાલિટી આરોગ્યસેવા અને ફૂડ-ડ્રગ લેબનો પણ લાભ મળશે. સ્ટાર્ટઅપ અને MSMEથી નવા રોકાણ-રોજગારી મળશે. જો કે, ડાયમંડ સેક્ટર માટે કોઈ ખાસ જાહેરાત ન થતાં ઉદ્યોગજગતમાં નારાજગી છે. અદ્યતન સુપર સ્પેશિયાલિટી આરોગ્યસેવા તેમજ ફૂડ-ડ્રગ લેબથી સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે ટેક્સટાઈલ સ્ટેટ પ્રમોશન કાઉન્સિલ સ્ટાર્ટઅપ ઈકોનોમિક માસ્ટર પ્લાન MSME આરોગ્ય GIDC ફૂડ એન્ડ ડ્રગ લેબ મેટ્રો ટ્રેનને સારોલીથી અંત્રોલી સુધી લંબાવી બુલેટ સ્ટેશન સાથે જોડાશેરાજ્ય બજેટમાં સુરત મેટ્રોને બુલેટ ટ્રેન સ્ટેશન સાથે જોડવા લાઇન-2ના 4.4 કિલોમીટરના એક્સટેન્શન માટે 40 કરોડની જોગવાઈ છે. આ વિસ્તરણ સારોલીથી અંતરોલી સુધી હશે, જ્યાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. GMRCએ આ માટે કોરિડોર-2 (ફેઝ-1)ના વિસ્તરણનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ એક્સટેન્શનનો ઉદ્દેશ મેટ્રો અને બુલેટ ટ્રેન વચ્ચે સીધી કનેક્ટિવિટી સ્થાપિત કરવાનો છે. બુલેટ ટ્રેનમાંથી ઉતરી સીધા મેટ્રોમાં સવાર થઈને શહેરના વિવિધ ભાગો સુધી પહોંચી શકાશે. આ પગલાંને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીનું મહત્વપૂર્ણ મોડેલ માનવામાં આવી રહ્યું છે. સમય-પરિવહન ખર્ચ ઘટશે, રિયલ એસ્ટેટને પ્રોત્સાહનમેટ્રોના 4.4 કિમી એક્સટેન્શનથી શહેરને મોટી મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી મળશે. બુલેટ ટ્રેનના અંતરોલી સ્ટેશનને મેટ્રો નેટવર્ક સાથે જોડવાથી લોકો ટ્રાફિકમાં ફસાયા વિના શહેરભરમાં જઈ શકશે, જેથી સમય અને પરિવહન ખર્ચ ઘટશે. સારોલી આસપાસ રિયલ એસ્ટેટ અને બિઝનેસને પ્રોત્સાહન મળશે. ઓગસ્ટમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ થશે, જેથી મેટ્રો સાથે બુલેટ ટ્રેન સ્ટેશન જોડવાથી મુસાફરોને બુલેટ સ્ટેશન સુધી પહોંચવામાં રાહત થશે. નવકાર ધામ, અંબાબા કોલેજ, અંતરોલીમાં સ્ટેશન બનશેઆ રૂટ પર 3 નવા મેટ્રો સ્ટેશન બનાવાશે. હાલમાં નવકાર ધામ જૈન મંદિર, અંબાબા કોમર્સ કોલેજ અને અંતરોલી હાઇ સ્પીડ રેલ સ્ટેશન નામ પ્રસ્તાવિત છે, જો કે, અંતિમ નિર્ણય કેન્દ્રની મંજૂરી બાદ લેવાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારની મંજૂરી બાદ DPR હવે કેન્દ્રને મોકલવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય, નીતિ આયોગ અને રેલ મંત્રાલય સ્તરે ટેકનિકલ અને નાણાકીય પરીક્ષણ બાદ અંતિમ મંજૂરી મળશે, જેમાં સામાન્ય રીતે 6 મહિનાથી એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. હાલમાં સુરત મેટ્રો ફેઝ-1નું 90 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને લક્ષ્ય 2027 સુધીમાં સંચાલન શરૂ કરવાનું છે. એક્સટેન્શનને બજેટમાં સામેલ કરવામાં આવવાથી હવે પ્રોજેક્ટને ગતિ મળે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:55 am

ભાસ્કર એક્સક્લુસિવ:28 વર્ષ પહેલા પ્લેગ્રાઉન્ડ માટે જમીન ફાળવી હતી, ગ્રાઉન્ડ તો ન બન્યું, ગંદકીની ફરિયાદ મળતા તપાસ કરી તો ખબર પડી સરકારી પ્લોટમાં ગેરકાયદે ખેતી થઈ

સિંગણપોરમાં આર.કે. પેટ્રોલ પંપ પાસે પાલિકાએ 28 વર્ષ પહેલાં 13 હજાર ચો.મી. જમીન સ્પોર્ટ્સ યુનિટ બનાવવા સંપાદનમાં લીધી હતી. જો કે, પ્લેગ્રાઉન્ડ તો બની ન શક્યું પણ અહીં લોકોએ 4 વર્ષથી શાકભાજીની ગેરકાયદે ખેતી શરૂ કરી દીધી હતી. સ્થાનિકોએ ફરિયાદ કરતાં બુધવારે તંત્રએ દબાણ દૂર કરવા દોડી જવું પડ્યું હતું. અહીં આ આયોજન હતાં: અહીં સ્કેટિંગ, વોલિબોલ, બાસ્કેટ બોલ, સાઇકલ ટ્રેક સહિતનું આયોજન હતું. જો કે, અમલીકરણના અભાવે અવાવરું જગ્યામાં ગેરકાયદે ખેતી થવા માંડી હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:49 am

હીરા વેપારીઓએ ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી:સુરત ડાયમંડ બુર્સમાં 60 કેબિન, 40 ઓફિસ મળી 100 વેપારીઓએ બિઝનેસ શરૂ કર્યો

સુરત ડાયમંડ બુર્સમાં 60 કેબિન અને 40 ઓફિસો મળીને 100 જેટલાં વેપારીઓ દ્વારા મૂર્હત કરીને વેપાર શરૂ કરવામાં આવ્યો છે. સાથે હવે સુરત ડાયમંડ બુર્સમાં 175 જેટલી ઓફિસો કાર્યરત થઈ છે. હીરા ઉદ્યોગમાં મંદી અને અમેરિકાના ટેરિફને કારણે ડાયમંડ ઉદ્યોગે મંદીનો માર સહન કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં હીરા વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી રહ્યા ન હતાં. પરંતુ હવે અમેરિકાએ નેચરલ હીરા પર ટેરિફ જીરો ટકા અને લેબગ્રોન ડાયમંડ પર ટેરિફ 18 ટકા કર્યો છે જેને લઈને માર્કેટમાં ડાયમંડ અને જ્વેલરીની માંગ વધવાની સંભાવના છે. ત્યારે હીરા વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત 350 જેટલી ઓફિસોનું ફર્નિચર ચાલી રહ્યું છે. 3 રૂટ પર સવારે 8થી સાંજે 6.30 સુધી બસ 8 ફેરા મારશે1. મિની બજારથી રેલવે સ્ટેશન, મજૂરા ગેટ, રૂપાલી જંક્શન, સંજીવની સર્કલ, સોહમ સર્કલ, સરસાણા થઈ ડાયમંડ બુર્સ.2. કતારગામ BRTS સ્ટેન્ડથી મિની હીરા ગોધાણી સર્કલ, કિરણ સર્જિકલ હોસ્પિટલ, લીલા બા સ્કૂલ, અમિષા હોટલ થઈ ડામયંડ બુર્સ.3. સંજીવકુમાર ઓડિટોરિયમથી ગુજરાત ગેસ સર્કલ, અઠવા ગેટ, મજૂરા ગેટ, રૂપાલી જંક્શન, સોહમ સર્કલ, સરસાણા થઈ ડાયમંડ બુર્સ. અગાઉ ધંધો શરૂ કરનારે બુર્સને લાઈવ રાખ્યું બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, ‘આ ઐતિહાસિક દિવસ છે, બુર્સમાં ઘણા વેપારીએ ઓફિસો શરૂ કરી છે. જે મિત્રોએ બુર્સમાં ઓફિસો શરૂ કરી છે તેમને ખુબ ખુબ અભિનંદ, આ તમામ કંપનીઓ એસડીબીમાં આવ્યા પછી 10 ગણી મોટી થાય તેવી પ્રાર્થના. આ પહેલાં જેમની ઓફિસો શરૂ થઈ હતી તેમનો પણ આભાર. કારણ કે, તેમણે બુર્સને લાઈવ રાખ્યું છે. આગામી દિવસોમાં વધુ ઓફિસ શરૂ થશે સુરત ડાયમંડ બુર્સના વાઈસ ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું કે, ‘આજે જે પ્રારંભ થયો છે તે માત્ર ઓફિસ ઓપિનિંગ નથી, પરંતુ સુરતના હીરા ઉદ્યોગના સંકલ્પ અને એકતાનો પ્રતિક છે, વેપારીઓએ આપેલા વચનનું પાલન કરીને એસડીબીને વધુ સશક્ત બનાવ્યો છે. આવનારા સમયમાં વધુ વેપારીઓ અહીં જોડાશે અને એસડીબી વૈશ્વિક ટ્રેડિંગ હબ તરીકે વધુ મજબૂત બનશે

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:47 am

ઈન્ફ્રા-રમત માટે 3615 કરોડ:ઓલિમ્પિક રેડી સિટી બનાવવા, આધુનિક જાહેર પરિવહન માટે શહેરને 1278 કરોડ ફાળવાશે

અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ હવે અમદાવાદ શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવાશે, જે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ બનાવી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવા માટે અંદાજે 1278 કરોડની જોગવાઈ સાથે અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 3615 કરોડ ફાળવાયા છે. ગેમ્સને ધ્યાનમાં રાખી મેટ્રોના વિસ્તરણ માટે પણ 1310 કરોડ ફાળવાશે. એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ માટે 500 કરોડ ફાળવાશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગરમાં રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.101 ફાળવાશે. ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવા 90 કરોડની જોગવાઈ કરાઈ છે. હોકી સ્ટેડિયમ માટે ગાંધીનગરમાં જમીન શોધાઈ રહી છે. મ્યુનિ. માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા ઔડાના વિસ્તારો માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 800 કરોડ તથા એસજી હાઈવેને ગ્રીન શહેરી હાઈવે તરીકે વિકસાવવા 100 કરોડની જોગવાઈ છે. કેવું હશે પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટરપેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર માટે 24290 ચો.મી.માં કામગીરી શરૂ કરાઈ છે. સેન્ટરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે બેડમિન્ટન,ટેબલ ટેનિસ,સીટિંગ વોલિબોલ, વ્હીલચેર રગ્બી, વ્હીલચેર બાસ્કેટ બોલ, બોસિકા,ગોલ બોલ, પેરા ડાન્સ સ્પોર્ટ્સ, ઝૂડો, ટેકવેન્ડો, પેરા પાવર લિફિંટગ,સ્વિમિંગ પૂલ માટે એસસી ઇન્ડોર હોલનું નિર્માણ કરાશે. અહીં ખેલાડીઓ માટે હોસ્ટેલની પણ સુવિધા હશે. કરાઈ એકેડેમીમાં શું બનશે? હાલની કરાઈ પોલીસ એકેડેમીમાં સ્પોર્ટ્સની જે સુવિધાઓ છે તેમાં ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ ઊભી કરાશે. અહીં એથ્લેટિક્સ સ્ટેડિયમ, શૂટિંગ સેન્ટર, મલ્ટિપર્પઝ એરેના હશે. મલ્ટિપર્પઝ એરેનામાં બાસ્કેટ બોલ, વોલિબોલ, બેડમિન્ટન જેવી રમતો રમાડી શકાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજી શકાશે. એલડી એન્જિનિયરિંગ કેમ્પસમાં 2028 સુધીમાં 2 હજાર વિદ્યાર્થીની ક્ષમતાવાળી હોસ્ટેલ બનશેનવરંગપુરાની એલડી એન્જિનિયરિગ કોલેજમાં હોસ્ટેલ-રિસર્ચ પાર્ક, જિમખાના સહિતનાં વિકાસ કાર્યો માટે ત્રણ વર્ષ માટે 430 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે. કોલેજ કેમ્પસમાં 2 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી હોસ્ટેલમાં બે નવા બ્લોકનું માર્ચ 2028 સુધીમાં નિર્માણ થશે. જ્યારે ડિસેમ્બર 2028 સુધીમાં વિવિધ ઇજનેરી બ્રાન્ચના રિસર્ચ પાર્કની સ્થાપના કરાશે. કોલેજના પ્રિન્સિપાલ ડો. નીલય ભૂપતાણીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે રિસર્ચ પાર્ક માટે 51 કરોડ ફાળવાયા છે. જ્યારે કુલ 430 કરોડની ફાળવણીમાં રિસર્ચ પાર્ક માટે 152 કરોડ, હોસ્ટેલ નિર્માણ માટે 204 કરોડ, ઈલેક્ટ્રિકલ ઈજનેરી ડિપાર્ટમેન્ટના એક્સટેન્શન માટે 49 કરોડ, જિમખાના ડેવલપેમેન્ટ માટે 28 કરોડ ફાળવાયા છે. કેન્સર, કાર્ડિયાક-ન્યુરો અને યુરો-નેફ્રો હોસ્પિટલ માટે રૂ. 500 કરોડ અમદાવાદમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂ. 500 કરોડની ફાળવણી કરાઈ છે, જેથી દર્દીને એક જગ્યાએ કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરોલોજી, અને નેફ્રોલોજી સહિતની સારવાર માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરાશે. હવે લોકોને ઘર આંગણે કેન્સર, હૃદય, કિડની સહિતના રોગોની સારવારની સુવિધા મળે તે માટે અમદાવાદ, ગાંધીનગર સહિતનાં શહેરોમાં સેટેલાઇટ સેન્ટર, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરાશે. થલતેજ-ગોધાવી મેટ્રો રૂટ, એરપોર્ટ, ગિફ્ટ સિટી રૂટ માટે વિશેષ ફંડની જોગવાઈરાજ્ય સરકારે બજેટમાં અમદાવાદ અને સુરત મેટ્રો માટે કુલ 2217 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાંથી 1310 કરોડ અમદાવાદ મેટ્રોના વિસ્તરણ માટે ફાળવાશે. અમદાવાદમાં થલતેજથી ગોધાવી સુધીના નવા રૂટ પર સરવે સહિતની પ્રાથમિક કામગીરી શરૂ કરાશે. આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી તૈયાર કરાનારા આ કોરિડોરથી પશ્ચિમ અમદાવાદના વિકસતા રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોને સીધી મેટ્રો કનેક્ટિવિટી મળશે અને દૈનિક મુસાફરી વધુ સરળ બનશે. એ જ રીતે શહેરમાં મેટ્રો ફેઝ-2 હેઠળ એરપોર્ટ રૂટ માટે પણ વિશેષ ફંડ ફાળવાશે. આ રૂટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને શહેરના મુખ્ય મેટ્રો નેટવર્ક સાથે જોડશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની અંદર પણ મેટ્રો રૂટનાં કામને પ્રાથમિકતા અપાશે. શીલજ, બોપલ સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા, પ્રદૂષણ ઘટાડવા 800 કરોડ ફાળવાયાઅમદાવાદના શીલજ, શેલા, સાઉથ બોપલ સહિતના વિકસી રહેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા વિકસાવવા માટે 800 કરોડ ફાળવાયા છે. આ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે પણ વ્યવસ્થા ઊભી કરવાની વ્યવસ્થા કરાશે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:44 am

ચેમ્બરના ઉપપ્રમુખની જનરલ મેનેજરને રજૂઆત:ઉત્તરાંચલ એક્સપ્રેસ સહિતની ટ્રેનો શરૂ કરવા ચેમ્બરની માગણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન રેલવેની ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ની તાજેતરમાં મુંબઇ ખાતે મળેલી મિટિંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલવે સુવિધા મળી રહે તે માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર પ્રદીપકુમારને વિવિધ પ્રશ્નો-સૂચનો ધ્યાને મૂકી તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ પ્રશ્નોમાં તેજસ એક્સપ્રેસ સાંજે 6:30 વાગ્યે જ ચાલતી હતી અને તેને બ્લોક મેન્ટેનન્સની સમસ્યા નડતી ન હતી તેથી સૌરાષ્ટ્ર મેલનો મૂળભૂત સમય સાંજે 6:30 વાગ્યે કરી આપવો, અમદાવાદથી ઉપડતી વિવિધ 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવા અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી લંબાવાઇ નથી, અમદાવાદ-પુના-અમદાવાદ દુરંતો રાજકોટ સુધી લંબાવવા કરાયેલી જાહેરાત બાદ હજુ સુધી લંબાવાઇ ન હતી. રાજકોટ-હરિદ્વાર માટેની ઉત્તરાંચલ એક્સપ્રેસને અઠવાડિયામાં ત્રણ વખત શરૂ કરવા, ઓખા-અયોધ્યા-ઓખા વાયા મથુરા સપ્તાહમાં બે વખત ન્યૂ સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવા, રાજકોટ-મુંબઇ-રાજકોટ માટે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા, મુંબઇ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને બોરીવલી ખાતે સ્ટોપ આપવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:36 am

બે પરિણીતાઓએ નોંધાવી ફરિયાદ:9 વર્ષની દીકરીની હાજરીમાં પત્નીના રિસામણે ગયા બાદ પતિ પરસ્ત્રીને ઘરે લઈને આવ્યો

શહેરના રેલવે ફાટક પાસે રાધિકા પાર્ક શેરી નંબર એકમાં રહેતા ગોપીબેન સાગરભાઇ લીંબાસિયા(ઉં.વ.32)એ મહિલા પોલીસ મથકમાં સાગર રમેશભાઈ લીંબાસિયા, હંસાબેન લીંબાસિયા અને દુર્ગેશ લીંબાસિયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા છે. લગ્નના થોડા સમય બાદ તેનો પતિ દારૂ પીને મારકૂટ કરતો હતો. દીકરીના જન્મ વખતે સાસુ સહિતનાઓને ન ગમતા ઝઘડાઓ કરતા હતા. પુત્રનો જન્મ થયો ત્યારે થોડો સમય બધું વ્યવસ્થિત રહ્યું બાદમાં પતિ ગામડે તેણીના પિતરાઈ ભાઈના લગ્નમાં ગયો હતો ત્યાં પતિએ બાળકોની સામે દારૂ પીધો હતો. જેથી એવું ન કરવા જણાવતા પરિણીતાને પતિએ આડેધડ માર માર્યો હતો. થોડા સમય બાદ પતિ મોડી રાત સુધી ઘરે ન આવતો અને વહેલી સવારે પાંચ વાગ્યે ક્યાંક જાણ કર્યા વગર જ જતો રહેતો હતો. ફોન ચકાસતા પતિના ફોનમાંથી જાણવા મળ્યું કે, તેને પરસ્ત્રી સાથે સંબંધ છે. જે બાબતનો વિરોધ કરતા પતિએ તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેણીની ગેરહાજરીમાં પતિ પાંચેક વખત તેના જૂના ઘરે કોઈ પરસ્ત્રીને લઈને આવ્યો હતો. જેની જાણ તેણીને તેની નવ વર્ષની બાળકીએ કરી હતી. પતિના પરિવારે તેણી ઉપર ખોટા આક્ષેપો કરી કોર્ટ કેસ પણ કર્યો હતો. કોર્ટના ખોટા ધક્કાથી સંતાનોનું ભણતર બગડતું હોવાનું પોલીસમાં જણાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અન્ય બનાવમાં શહેરના લક્ષ્મીવાડીમાં રહેતી દર્શિકાબેન કૃતાર્થ આડેસરા મધડિયા (ઉં.વ.28) પોલીસમાં પતિ કૃતાર્થ મયૂરભાઈ આડેસરા મઘડિયા, સસરા મયૂરભાઈ વલ્લભદાસ, સાસુ નિધિબેન મયૂરભાઈ અને નણંદ રિયાબેન ઉદિતભાઈ રાધનપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે લગ્નના દશેક દિવસ જ તેણીનો સંસાર વ્યવસ્થિત રહ્યો બાદમાં સાસુ અને નણંદ કામ અને કરિયાવર બાબતે મેણાંટોણાં મારવા લાગ્યા હતા અને વધુ દહેજ માગતા હતા. પતિ બોલાચાલી કરી ઘણી વખત તો પોતાનું જ દીવાલમાં માથું પટકાવતા અને રાડો નાખતા હતા. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય પતિ રૂમમાં રાખેલી કાતર, બ્લેડ કટર લાવીને તેણીને એમ કહેતા કે, તું મરી જા કે હું મરી જાવ. બાદમાં અંધશ્રદ્ધાળુ સસરા મુસ્લિમ ધર્મની અગરબત્તીની ભભૂતિ ખવડાવતા અને તેણી ઉપર કુદૃષ્ટિ પણ દાખવતા હતા. સસરા એમ કહેતા કે, અમારા કુટુંબમાં તો વહુઓને બાળવાનો રિવાજ છે, રસોઈ કરતા શું થઈ જશે તેની ખબર પણ નહીં પડે. માતાના અકસ્માત બાદ સાસરી પક્ષે માવતરે રોકાવા જવાની ના કહી દીધી હતી. રોકાવવા જવા મંજૂરી આપ્યા બાદ તેણીને તેડી ન જઈ ઘરેથી કાઢી મૂકી અને નંબર પણ બ્લોક કરી દેતા પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:35 am

ગ્રામ્ય પ્રશ્નોના નિકાલ માટે ઉચ્ચ અધિકારીઓ ગામડાં ખૂંદશે:આજથી તા.9 એપ્રિલ સુધી કલેક્ટર- ડીડીઓ કરશે સરપંચો સાથે સંવાદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં આજથી આગામી તા.9 એપ્રિલ સુધી ગામડાંઓના છેવાડાના નાગરિકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ સમયસર પહોંચાડવા તેમજ ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે કલેક્ટર,ડીડીઓ અને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ વીંછિયા અને જસદણ તાલુકાના સરપંચો સાથે સંવાદ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય પ્રશ્નોના નિકાલ માટે નવા જ અભિગમ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ બપોરે 12 વાગ્યે વીંછિયા અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે જસદણ ખાતે બેઠક યોજાશે, તા.27મી ફેબ્રુ.એ બપોરે 3 વાગ્યે કોટડાસાંગાણીમાં સરપંચ સંવાદ થશે. તેમજ 6 માર્ચના રોજ, બપોરે 12 કલાકે ધોરાજી તથા બપોરે 3 કલાકે જેતપુર ખાતે, 13 માર્ચના રોજ બપોરે 12 વાગ્યે ઉપલેટા અને બપોરે 3 વાગ્યે જામકંડોરણા અને 24 માર્ચના રોજ બપોરે 3 વાગ્યે પડધરીમાં સરપંચ સંવાદ યોજાશે.ઉપરાંત 7 એપ્રિલના રોજ બપોરે 3 રાજકોટ તાલુકાનો જ્યારે 9 એપ્રિલના રોજ બપોરે 12 કલાકે ગોંડલ તથા બપોરે 3 કલાકે લોધિકા ખાતે સરપંચ સંવાદ થશે. સરપંચ સંવાદમાં તમામ વિભાગના અધિકારીઓની હાજરીજિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામ્ય પ્રશ્નોના નિકાલ માટે નવા અભિગમ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમ શરૂ કરવા જાહેર કર્યું છે જેમાં સરપંચો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો અંગે જિલ્લા વિકાસ અધિકારી, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા પોલીસવડા, સંબંધિત પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી ચર્ચા કરીને સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ કરવા માટે પ્રયાસ કરશે.જેથી જિલ્લાના તમામ સરપંચોને સરપંચ સંવાદ કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:32 am

છેતરપિંડી:ફલેટના સસ્તા સોદાની લાલચ આપી દંપતીને શીશામાં ઉતાર્યા, 24.51 લાખની છેતરપિંડી

રાજકોટના યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ નજીક શિલ્પન ઓનેક્સ ફ્લેટ નં.901માં રહેતા દંપતીને સસ્તામાં ફ્લેટ અપાવવાની લાલચ આપી વિપ્ર શખ્સે રૂ.24.51 લાખની ઠગાઈ આચર્યા અંગે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ શિલ્પન ઓનેક્સ A/2 વિંગ, ફલેટ નં.901માં રહેતી બબિતા ધરમવીરસિંહે આરોપી તરીકે અયોધ્યા ચોક, આસ્થા એવન્યુ બ્લોક નં.150માં રહેતા રિતેષ જીતેન્દ્ર ત્રિવેદીનું નામ નોંધાવ્યું છે. ફરિયાદીના પતિ ઇલેક્ટ્રોનિક્સ કન્સલ્ટન્સીનું કામ કરે છે. જુલાઈ-2025 દરમિયાન તેમના ઓળખીતા વિજય નાયરે રિતેષભાઈની માલિકીનો બોમ્બે હાઉસિંગ-9 સ્થિત રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.302 સસ્તામાં આપવાની વાત કરી હતી. આ એપાર્ટમેન્ટમાં ફરિયાદીની નણંદનો ફ્લેટ હોવાને કારણે વિશ્વાસ રાખી સોદા માટે હા પાડી હતી. ત્યારબાદ આરોપી તથા તેનો પુત્ર કાવ્ય ફરિયાદીના ઘરે આવ્યા હતા અને રૂ.47 લાખમાં સોદો નક્કી થયો હતો. ટોકન રૂપે રૂ.4 લાખ અપાયા હતા. બાદમાં ફરિયાદીએ આરોપીને રૂ.17,51,581.45 બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને રૂ.3 લાખ રોકડા જમા કરાવી સ્લીપ આપી કુલ રૂ.24,51,581.45 ચૂકવ્યા હતા. આરોપીએ નોટરાઈઝ સાટાખત કરી આપ્યો હતો અને બાકી રકમ દસ્તાવેજ સમયે આપવાનું નક્કી થયું હતું, પરંતુ ત્યારબાદ આરોપી દસ્તાવેજ કરવાની બાબતે ટાળટૂળ કરવા લાગ્યો હતો. વધુમાં ફરિયાદી ફોન કરે તો આત્મહત્યા કરી ચિઠ્ઠીમાં નામ લખી જવાની ધમકી આપતો હતો. ડિસેમ્બર-2025 દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું કે, આરોપીએ એ જ ફલેટ ભાવેશ ખેતરિયાને રૂ.47.50 લાખમાં વેચી દીધો હતો. સાથે જ જયદીપસિંહ નટુભા ગોહિલને પણ ફ્લેટનો સાટાખત કરી રૂ.18 લાખ મેળવ્યા હતા. આથી ફરિયાદીએ આરોપી રિતેષ ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:32 am

માર માર્યો:લોનના હપ્તાની ઉઘરાણી કરી બે રિકવરી એજન્ટે વેપારીને માર માર્યો

શહેરના નેહરૂનગર મેઇન રોડ પર આદર્શ ઇલેક્ટ્રિક નામની દુકાને આદિત્ય બિરલા ફાઇનાન્સના હપ્તાના નાણાંની રિકવરી માટે આવેલા બે શખ્સે વેપારીને માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જંગલેશ્વરમાં રાધાકૃષ્ણનગર મેઇન રોડ પર વેલનાથ ચોક પાસે રહેતા જસપાલ લક્ષ્મણભાઇ જમોડ નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મકસુદ અને તેની સાથેના અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીએ 2023માં આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી રૂ.3 લાખની બિઝનેસ લોન લીધી હતી અને તેનો દર મહિને રૂ.11500 હપ્તો ભરતા હતા, પરંતુ છેલ્લા નવેક માસથી પૈસાની સગવડ ન હોય હપ્તો ન ભરતા આરોપીઓએ દુકાને આવી તેની ઉઘરાણી કરી ફરિયાદીને અપશબ્દો બોલી છૂટા પથ્થરોના ઘા મારતા ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. પોલીસે મકસુદ સહિત બે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:30 am

મેગા ડિમોલિશન હાથ ધરાયું:300 વીઘા સરકારી જમીન પર લહેરાયો ઘઉં-ચણા અને જીરુંનો પાક, બુલડોઝર ફેરવી દેવાયું

ઉપલેટા શહેરની ભાગોળે અગાઉ સેંકડો એકર ગૌચરની જમીન પર કબજો જમાવી ખેતી શરૂ કરનાર દબાણકારો પર બુલડોઝર એક્શન લેનાર ધોરાજી પ્રાંત અધિકારી અને ઉપલેટા મામલતદારે બુધવારે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી ગણોદ ગામની 300 વીઘા સરકારી જમીન પર ખેતી શરૂ કરી ઘઉં, ચણા અને ઘાસચારા સહિતનું વાવેતર કરનાર 31 આસામીના ખેતી વિષયક દબાણ પર બુલડોઝર ફેરવી દેવાની સાથે દબાણકારોને રૂ.4,42,030નો દંડ પણ ફટકાર્યો હતો. ઉપલેટા મામલતદારે છેલ્લા એક માસમાં 31 દબાણકાર સામે દબાણ કેસ ચલાવી અંદાજે રૂપિયા 17 કરોડની જમીન ખુલી કરાવી હતી. ગણોદની સરકારી જમીન પર દબાણ કરનાર ઈસમોૉઉપલેટા તાલુકા ગણોદ ગામમાં રેવન્યુ સરવે નંબર 784 પૈકી 131ની જમીન પર કુલ 31 આસામીએ 100 ચોરસ મીટરથી લઈ એક, બે, પાંચ એકર કે તેથી વધુના દબાણ કર્યા હતા. જેમાં (1) દાનાભાઇ વીરાભાઇ સિંધવ(2) સાંગાભાઇ સુરાભાઇ ભારાઇ(3) રાજાભાઇ જીવાભાઇ ભારાઇ(4) રૂડાભાઇ પુનાભાઇ વાંદા (5) ભોજાભાઇ ગોવિંદભાઇ ભારાઇ(6) પુંજાભાઇ ગોવાભાઇ ખટાણા(7) દાસાભાઇ દેસુરભાઇ સિંઘલ(8) વેજાભાઇ સુદાભાઇ ખાંભલા(9) ગાંડાભાઇ ચનાભાઇ ધંધુકિયા(10) જીકાભાઇ ડાયાભાઇ ખટાણા (11) ઘારાભાઇ ગાંડાભાઇ કોડિયાતર(12) રૂડાભાઇ જેઠાભાઇ છેલાણા(13) પુંજાભાઇ સુદાભાઇ છેલાણા (14) ભીખુભાઇ દાસાભાઇ ભારાઇ(15) ચનાભાઇ નારણભાઇ ભારાઇ (16) બાવનજીભાઇ જેઠાભાઇ ભારાઇ(17) હીરાભાઇ પુનાભાઇ ભારાઇ (18) ભીખાભાઇ શામજીભાઇ કોળી(19) વિજયભાઇ મુળુભાઇ ખેંગારિયા (20) ધીરૂભાઇ જેરામભાઇ કોળી (21) ભીમાભાઇ જસાભાઇ સિંઘલ(22) નારણભાઇ જીવાભાઇ ડાંગર (23) શાંતાબેન મનસુખભાઇ વિરડા (24) મનસુખભાઇ રમેશચંદ્ર વિરડા (25) સતિષકુમાર રમેશચંદ્ર વિરડા (26) પ્રફુલભાઇ રામાભાઇ ભારાઇ (27) ભરતભાઇ બાબુભાઇ મકવાણા (28) રમેશભાઇ વજાભાઇ સિંઘલ (29) રમેશભાઇ દેવરખીભાઇ સિંઘલ (30) બઘાભાઇ દેવરખીભાઇ સિંઘલ અને (31) દેવાભાઇ બાવનજીભાઇ સિંઘલે દબાણ કર્યું હોય તમામ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:30 am

છેડતીનો:80 ફૂટ રોડ પર મટુકી ચોક પાસે દંપતી પર હુમલો કરી મહિલાની છેડતી

રાજકોટના વાવડી ખાતે ટાઉનશિપમાં રહેતી યુવતી પતિ અને પુત્ર સાથે બજારમાં ખરીદી કરવા ગઇ હતી ત્યારે મોટરસાઇકલ નં. જીજે-03-એનએચ-2083માં ધસી આવેલા બે શખ્સે તેમને આંતરી ‘તમે એકબીજાને અડીને કેમ બેઠા છો’ તેમ કહેતા ફરિયાદીના પતિએ કહેલું કે, અમે પતિ-પત્ની છીએ અને અમે અમને મજા આવે એમ બેસીએ તમારે એનાથી શું મતલબ? તેમ કહેતા આરોપીઓમાંથી પાછળ બેઠેલા શખ્સે મોટરસાઇકલમાંથી ઉતરી ફરિયાદીના પતિનો કાઠલો પકડી ‘તારે શું પાવર છે, તું મને ઓખળતો નથી આજ તો પૂરું કરી નાખીશ’ તેમ કહી ફરિયાદીના પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. આથી ફરિયાદી છોડાવવા માટે વચ્ચે પડતા તેમની પણ છેડતી કરી આરોપીઓ ધક્કો મારી નાસી છૂટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:27 am

આપઘાત:આઠ માસ પૂર્વે સગપણ કરનાર યુવતીનો આપઘાત

ગોંડલ રોડ પર વાવડીમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. આઠ મહિના પૂર્વે યુવતીની મોરબીના યુવાન સાથે સગાઇ થઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ, વાવડીમાં આકાર હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાબેન રમેશભાઈ કવા(ઉ.વ.30) નામની યુવતીએ સાંજે ઘરે ગળાફાંસો ખાઈ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તબીબે તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી.સી. જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:26 am

બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ થયું:રાજકોટના 322 પરીક્ષા કેન્દ્ર પર પોલીસ-હોમગાર્ડની તૈનાતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ તા.26મીથી શરૂ થવા જઈ રહી છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ, નકલપ્રવૃત્તિ અથવા અસામાજિક તત્ત્વોની દખલગીરી અટકાવવા માટે રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કડક સુરક્ષા એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીએ બુધવારે પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 322 બિલ્ડિંગમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને સતત મોનિટરિંગ થશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી દરેક કેન્દ્ર પર એક પુરુષ પોલીસ જવાન, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. સંવેદનશીલ કેન્દ્રોમાં વધારાની ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા અચાનક નિરીક્ષણ હાથ ધરાશે. પરીક્ષાર્થીઓ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:26 am

ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી:રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોડે જૂનાગઢના જંગલ વિસ્તારમાં બેલાની ખાણ ઝડપી

ઇકો ઝોન જાહેર થયેલા ગીર અભયારણ્ય વિસ્તાર નજીક ખાણકામ પ્રવૃત્તિ પર સદંતર રોક લાગી હોવા છતાં લાઇમસ્ટોન એટલે કે, ચૂનાના બેલા પથ્થર કાઢવા માટે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગની રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડે માળિયા હાટીના તાલુકાના ધરમપુર નજીકના અંતરિયાળ વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર ખનન કરી રહેલા 4 જેસીબી અને એક હિટાચી સહિત કુલ રૂપિયા 1.55 કરોડના વાહનો સીઝ કરી ગેરકાનૂની પ્રવૃત્તિ મામલે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ સ્થિત ખાણ ખનીજ વિભાગની સૌરાષ્ટ્ર ઝોનની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમને બાતમી મળી હતી કે, જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ધરમપુર ગામના પાંજરાપોળ તરીકે ઓળખાતા વિસ્તારમાં લાઇમસ્ટોન ખનનની પ્રવૃત્તિ ચાલુ છે. જેને પગલે ફ્લાઈંગ સ્ક્વોડ બાતમીના સ્થળે પહોંચી હતી. જોકે આ વિસ્તાર જંગલ નજીકનો હોવાથી કાચા રસ્તા પર જવું મુશ્કેલ હતું.જેથી જૂનાગઢ ખાણ ખનીજ વિભાગની મદદ લઈ દરોડાની કાર્યવાહી કરતા બનાવ સ્થળેથી ચાર જેસીબી અને એક હિટાચી મશીન મળી આવ્યું હતું. રેડ દરમિયાન બનાવ સ્થળે હાજર જગદીશભાઇ અરજણભાઇ ચાડેરાએ ગેરકાયદેસર ખનન કરતા હોવાનું સ્વીકારતા રૂ.1.55 કરોડના વાહનો સીઝ કરી બાબરા સ્થિત ન્યૂ મુરલીધર સ્ટોન ક્રશર ખાતે મુકાવી દઈ કેટલું ખનન કરવામાં આવ્યું છે તેની તપાસ શરૂ કરી દંડ નક્કી કરવા કાર્યવાહી કરી હતી. માળિયા હાટીનાના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં ખનન શરૂ થતાં કાર્યવાહી

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:24 am

RACમાં મેમ્બરશિપના દ્વાર ખુલ્યા:રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલમાં મેમ્બરશિપ માટે સોનેરી તક

અખબારનગરી રાજકોટ શહેરની રાજ્યમાં મીડિયા હબ તરીકે ગણના થાય છે. ખાસ કરીને રાજકોટમાં ઇન્ડોર, આઉટડોર, પ્રિન્ટ, ઓડિયો, ઈલિક્ટ્રોનિક, ડિજિટલ મીડિયા સહિતના માધ્યમોમાં એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે વિશાળ તકો રહેલી છે ત્યારે રાજકોટના પ્રતિષ્ઠિત ગણાતા રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા લાંબા સમય બાદ RAC એટલે કે,રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલમાં મેમ્બરશિપના દ્વાર ખોલ્યા છે. જેથી એડવર્ટાઇઝિંગ એજન્સી ઉપરાંત ટ્રેડિશનલ મીડિયા અને ડિજિટલ મીડિયા સર્વિસ પ્રોવાઇડર આગામી તા.15થી 28 દરમિયાન નિયત પ્રક્રિયા પૂર્ણ કરી RACમાં જોડાઈ શકશે. રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ એકતા, સહકાર અને વિકાસના ત્રિવિધ મંત્ર સાથે કાર્યરત છે. સંગઠન દ્વારા લાંબા સમયબાદ મેમ્બરશિપ માટે એજન્સીઓને આમંત્રિત કરી છે. જેમાં એડવર્ટાઇઝિંગ એજન્સી ઉપરાંત ટ્રેડિશનલ મીડિયા અને ડિજિટલ મીડિયા સર્વિસ પ્રોવાઇડર પણ પ્રતિષ્ઠિત RAC સંગઠનમાં મેમ્બર બની શકે છે.મેમ્બરશિપની માહિતી અને ફોર્મ માટે જયેશભાઇ સોના (99242 34642) તેમજ નિલેશભાઈ ત્રિવેદી (98242 10323)નો સંપર્ક સાધી શકાશે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:24 am

સન્માન કરાયું:નિ:સ્વાર્થભાવે વિવિધ ક્ષેત્રમાં કાર્યરત રાજકોટના 28 વરિષ્ઠ મહાનુભાવોનું ‘રાજકોટ ગૌરવ સન્માન એવોર્ડથી’ સન્માન કરાયું

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સમાજમાં સેવાની સુગંધ ફેલાવતા સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના 28 મહાનુભાવોનું ‘રાજકોટ ગૌરવ સન્માન એવોર્ડથી’ અભિવાદન કરવામાં આવશે. આ સંસ્થા 28 વર્ષથી કાર્યરત છે અને સંસ્થા દ્વારા વડીલોની સેવા તથા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત પાંચ દાયકાથી કે તેથી વધુ સમયથી નિ:સ્વાર્થભાવે વિવિધ ક્ષેત્રમાં કાર્યરત રાજકોટના 28 વરિષ્ઠ મહાનુભાવોને સન્માનિત કરી સમાજ ગૌરવ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. દરેક મહાનુભાવોનું સમારંભના અતિથિઓના હસ્તે કુમકુમ તિલક કરી, સૂતરની આંટી, ખેસ પહેરાવી, શાલ ઓઢાડીને ‘સમાજ ગૌરવ સન્માન એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. તમામ 28 સન્માનિત મહાનુભાવો વતી પ્રતિભાવ આપતા લેખક ડો.ભદ્રાયુ વછરાજાનીએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અનુપમભાઇ દોશીએ તમામ અતિથિઓનો પરિચય આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:19 am

ઇન્ડિયન કેટલ શો:સ્પર્ધામાં બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના 30થી વધુ એક્સપર્ટ હાજર રહેશે

શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.20,21 અને 22 ફેબ્રુઆરીના રોજ ત્રણ દિવસ એશિયાનો સૌથી મોટો અને ભારત દેશનો પ્રથમ ઇન્ડિયન કેટલ શોનું આઈ.એફ.આઈ.ઝેડ.સી.આઈ.(IFIZCI) દ્વારા આઈ.સી.એસ.(ICS)ની ટીમે પ્રદર્શનનું બીડું ઝડપ્યું છે. જેમાં (ICS) ઇન્ડિયન કેટલ શો એટલે કે, ભારતીય ગૌવંશનું પ્રદર્શનનું આયોજન કરે છે. IFIZCI સંસ્થા જે આંતરરાષ્ટ્રીય ફેડરેશન છે. જે ભારત દેશની દેશી પ્રજાતિની ખૂંધવાળી ગૌવંશનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત દેશમાં 80થી વધારે દેશી ગૌવંશની ઉપસ્થિતિ છે. આ તકે દેશ અને વિદેશમાંથી અનેક સંવર્ધકો, પશુપાલકો અને ખેડૂત ભાગ લેવાના છે. ગુજરાતમાંથી 8000થી વધારે ગૌવંશનું રજિસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી 200 જેટલા ગૌવંશની પસંદગી કરાઈ છે. આ કાર્યક્રમમાં ગાય અને નંદી સ્પર્ધામાં શ્રેષ્ઠ દૂધાળી ગાય, શ્રેષ્ઠ ગાય (સુંદરતા), શ્રેષ્ઠ વોડકી (બે દાંત) તથા નંદીમાં શ્રેષ્ઠ નંદી, શ્રેષ્ઠ વચરડો (બે દાંત) રહેશે. જેમા ચેમ્પિયન ઓફ ધ શો 2026 ગૌવંશ શ્રેષ્ઠ જાહેરાત થશે અને ઇનામ રાશીનું વિતરણ કરાશે. તા.20 ફેબ્રુઆરીના રોજ 9:30 વાગ્યે ભવ્ય ઉદ્ઘાટન થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ આચાર્યદેવવ્રતજી રેહશે. આ ઉપરાંત અનેક સામાજિક, રાજકીય અતિથિની ઉપસ્થિતિ રહેશે અને ત્યારબાદ સંતોના આશીર્વચન રહેશે. 21મીએ દેશી ગૌવંશના નંદી શોનું રિંગ પ્રદર્શન રહેશે. જ્યારે સાંજે 7:30 વાગ્યે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સૂફી સંગીત સંધ્યા, ભાતીગળ સંસ્કૃતિના લોકગીતો, જૂના ભજનોનો માર્મિક સંવાદ રજૂ કરાશે. 22મીએ દેશી ગૌમાતાનો રિંગ શો(પ્રતિયોગિતા)નું આયોજન ત્યાર બાદ દૂધાળું ગાયની દૂધ હારીફાઈ યોજાશે. ત્યારબાદ શ્રેષ્ઠ ગૌવંશ વિજેતાની જાહેરાત અને ભવ્ય ઇનામ વિતરણ બાદ સામૂહિક રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અહીં વિન્ટેજકાર અને વિન્ટેજ ટ્રેક્ટરનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહેશે. ભાસ્કર ઇનસાઇડકુલ 26 જિલ્લામાંથી રજિસ્ટ્રેશન થયુંઆ કાર્યક્રમમાં કુલ 8000 રજિસ્ટ્રેશનમાં ગુજરાત બહારથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. કુલ 26 જિલ્લામાંથી રજિસ્ટ્રેશન આવ્યું હતું. આ ઉપરાંત અહીં સુરત, વડોદરા, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાંથી 33 લોકોની કમિટી બનાવાઇ છે. નિષ્ણાતમાં વિવિધ ડોક્ટરની ટીમ, સાઇન્ટિસ્ટ તથા CBS ફાર્મથી મુલરાજભાઇ ઓડેદર, રાઘવેન્દ્રબાપુ (ભાડવા સ્ટેટ) આ ઉપરાંત ભારત બહારથી બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના 30થી વધુ એક્સપર્ટ હાજર રહેશે. 20મીએ વાછડીઓની, 21મીએ નંદી તથા 22મીએ ગૌમાતાઓની સ્પર્ધા યોજાશે. શુક્રવારે ઉદ્ઘાટન બાદ આચાર્યદેવવ્રતજી ગૌપૂજન કરશે, ગૌયજ્ઞમાં આહુતિ આપશે, દરેક સ્ટોલની, વિન્ટેજકારના પ્રદર્શનની મુલાકાત લેશે. કાર્યક્રમમાં 3 દિવસ દરમિયાન ગૌ યજ્ઞ શરૂ રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:17 am

બજેટ બોર્ડમાં પીપીપીને લઈને સમરાંગણ જામ્યું:મનપાના જનરલ બોર્ડમાં મેયરના ભાષણ વખતે જ વિપક્ષનો દેકારો, બજેટ પસાર

રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ બોર્ડ બુધવારે મળ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે બજેટ રજૂ કર્યું હતું. જેમાં પોતાના ભાષણમાં શાયરીઓ વણી હતી. બજેટ તો પસાર થઈ ગયું પણ બોર્ડમાં વિપક્ષે ભારે દેકારો કર્યો હતો જેને લઈને મેયરનું ભાષણ પણ કોઇ સાંભળી શક્યા ન હતા. ખાસ કરીને મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો મુદ્દોગાજ્યો હતો. ચેરમેન બજેટ રજૂ કરતી વખતે થોડા થોડા સમયે વિપક્ષના વશરામ સાગઠિયાએ વચ્ચે બોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમને દિલાસો અપાયો હતો કે છેલ્લું બોર્ડ હોવાથી તેમણે પણ સમય અપાશે. જોકે ચેરમેનના ભાષણ બાદ તુરંત જ તેઓ ઊભા થઈ ગયા હતા અને બોલવાનો સમય માગ્યો હતો. છેલ્લે વારો આવશે તેવું કહ્યું હતું, પણ સાગઠિયાએ ઊભા રહીને મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયાએ સંત કબીર રોડ પર કરેલા ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ પીપીપી અને બીઓટીનો દેકારો કર્યો હતો. જે પડકાર સામે ભાજપના કોર્પોરેટરો બચાવમાં ઉતર્યા હતા જોકે આ દરમિયાન એટલો હોબાળો થયો હતો કે મેયરની બજેટ સ્પીચ પણ સાંભળી શકાતી ન હતી. મહિલા નગરસેવકોએ એક સરખા રંગની સાડી પહેરીવર્તમાન બોડીનું આ છેલ્લું બજેટ બોર્ડ હતું. જેને લઈને મહિલા નગરસેવકોએ જાણે એક સરખા રંગની સાડી પહેરવાનું નક્કી કર્યું હતું તેવી સ્થિતિ થઈ હતી. બોર્ડ પૂરું થતા જ તમામ મહિલા નગરસેવકોએ ફોટો પડાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:15 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:નોકરીનું ઇન્ટરવ્યૂ આપી પરત ફરતી વખતે કારચાલકે ઠોકરે લેતા રેલનગરના યુવકનું મોત

બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે અતિથિ દેવો ભવ: હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે એક યુવાન કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું. રેલનગરમાં રહેતો આ યુવક તેના વૃદ્ધ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ હતો. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવા નીકળ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રેલનગર શ્રીનાથજી સ્કૂલ સામે શ્રીનાથજી સોસાયટી શેરી નં.2માં રહેતો નિશાંતભાઇ રાજેન્દ્રભાઇ પંડ્યા(ઉ.વ.38) નામનો યુવાન સાંજે સાડા ચારેક વાગ્યે બેડી ચોકડી મોરબી બાયપાસ પર એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો. ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં 108 મારફતે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ અહીં તેનું મોત થયું હતું. પોલીસની તપાસમાં મૃત્યુ પામનાર યુવાનના પરિવારજનોને ઘટનાની જાણ થતાં મૃતક યુવાનના કાકા રેલનગર અમૃત સરોવર ખાતે રહેતાં જીઇબીના નિવૃત્ત જુનિયર એન્જિનિયર શૈલેષભાઇ પંડ્યા સહિતના પહોંચ્યા હતા. પોલીસે શૈલેષભાઇ પંડ્યાની ફરિયાદ પરથી કાર નં. જીજે35એએલ-1980ના ચાલક રાજેશ અમૃતલાલ ઇન્દ્રાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વધુમાં મૃત્યુ પામનાર નિશાંતભાઇ વૃદ્ધ માતા-પિતાનો એકનો એક દિકરો અને એક બહેનથી નાનો તથા અપરિણીત હતો. યુવક અગાઉ મેટોડામાં નોકરી કરતો હતો. હાલ એ નોકરી છોડી દીધી હતી અને પોતે કમ્પ્યૂટર વર્ક શોધી રહ્યો હતો. મંગળવારે બપોર બાદ મોરબી રોડ પર બીજી નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે કારની ઠોકરે ચડી જતાં મોતથયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:11 am

ભાસ્કર ફોલોઅપ:સંત કબીર રોડ પર મેયરના ગેરકાયદે બાંધકામ સામે મહાપાલિકાએ ફટકારી 260(1)ની નોટિસ

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈ પેઢડિયાએ સૂચિત પ્લોટમાં ગેરકાયદે કોમર્સિયલ બાંધકામ શરૂ કર્યાનો પર્દાફાશ ભાસ્કરે કર્યો છે. જેને લગતી વિગતો ભાસ્કરે ટી.પી. શાખાને આપતા અચાનક જ શાખાના અધિકારીઓની આંખ ખૂલી છે. આખરે મેયરે સૂચિત પ્લોટમાં કરેલા ગેરકાયદે બાંધકામને 260(1)ની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે કે, કરેલ બાંધકામ કાયદેસર હોવાના પુરાવા આપવા અથવા તો પોતાની રીતે જ બાંધકામ દૂર કરવું. જો ખુલાસો નહિ કરે અથવા તો ખુલાસો યોગ્ય નહિ હોય તો મનપા 260(2) એટલે કે ડિમોલિશનની આખરી નોટિસ આપશે અને દબાણ દૂર કરવાનું રહેશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ભાસ્કરે સરનામું તેમજ બાંધકામ કર્યા અંગેની વિગતો એટીપી રેનિશ વાછાણીને આપતા નોટિસ તો અપાઈ પણ એટીપીએ બાંધકામ પણ અટકાવ્યું છે. એટીપીએ સર્વેયરને સ્થળ પર મોકલીને આગળનું વધુ બાંધકામ ન કરવા માટે પણ ચેતવણી આપી છે. જોકે આ ચેતવણીનું પાલન મેયર નયનાબેન કે પછી તેમના પતિ વિનોદભાઈ કેટલું કરે છે તેજોવાનું રહ્યું. મેયરનું જુઠ્ઠાણું, મેં એક ફૂટ પણ જગ્યા દબાવી નથી, પુરાવો, મનપાનું સાઈન બોર્ડ સહિતનો ફૂટપાથ દબાવ્યોમેયર નયનાબેન પેઢડિયાએ પોતે પણ કબૂલ્યું છે કે, આ સૂચિત પ્લોટ છે અને તેમાં મંજૂરી વગર બાંધકામ કર્યુ છે. જોકે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, પ્લોટ સિવાય તેમણે એક ફૂટ પણ સરકારી જમીન દબાવી નથી. પણ, તે જુઠ્ઠાણું જ છે કારણ કે આ બાંધકામ સાઈટમાં તેમણે પ્લોટસિવાય ફૂટપાથનો ભાગ પણ હજમ કરી લેવો છે. મનપાનું સાઈન બોર્ડ તેમજ ગુજરાત ગેસની કનેક્શન પેટી સહિતની સરકારી મિલ્કતોની જગ્યાની ચારે બાજુ આડશ કરીને રોડ પર ગેટ મૂકી દીધો છે.

દિવ્ય ભાસ્કર 19 Feb 2026 4:10 am