ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રઢતા જળવાઈ રહે તે માટે એસ.પી. જયદીપસિંહ જાડેજાએ એક વધુ કડક અને નક્કર નિર્ણય લીધો છે. પ્રભાસ પાટણ પોલીસ મથકના પી.આઈ. એમ.વી. પટેલને શિસ્તભંગના ગંભીર આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પી.આઈ. પટેલે એસ.પી. દ્વારા મંજૂર કરાયેલી મર્યાદિત રજા બાદ પણ મનસ્વી રીતે સિક લિવ પર ઉતરી જવાથી આ આકરી કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, પી.આઈ. પટેલ પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગે રજા માંગેલ હતી. જો કે સોમનાથ ખાતે હાલ કાર્તિકી પૂર્ણિમાનો મહામેળો ચાલુ હોય અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હોવાને કારણે તેમજ સતત વી.આઈ.પી. મુવમેન્ટને ધ્યાનમાં લઈને એસ.પી. જાડેજાએ દોઢ દિવસની રજા મંજૂર કરી હતી. આટલી રજા બાદ પણ પી.આઈ. પટેલ ફરજ પર હાજર ન રહેતાં એસ.પી. દ્વારા તેમને તાત્કાલિક હાજર થવા નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં આ નોટિસની અવગણના કરી પી.આઈ. પટેલ ચાર દિવસ સુધી ફરજ પર પરત ફર્યા ન હતા, જે મામલે શિસ્તભંગ ગણાતા આખરે એસ.પી. જાડેજાએ તેમને સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરી દીધી. ઉલ્લેખનીય છે કે આ જ સમયગાળામાં ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ પણ સિક લિવ પર ઉતર્યા હતા, પરંતુ નોટિસ મળતાની સાથે જ તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા, જ્યારે પી.આઈ. પટેલે નોટિસ અવગણતા એસ.પી.ને આકરું પગલું ભરવું પડ્યું. એસ.પી. જયદીપસિંહ જાડેજાના આ કડક નિર્ણયને લઈ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાને ઘણા લોકો પોલીસ શિસ્ત અને જવાબદારીનું દ્રષ્ટાંત ગણાવી રહ્યા છે, તો કેટલાક વર્ગોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.
અત્યારે ચોમાસું પૂરું થતું અને શિયાળો શરૂ થતો ટ્રાન્ઝિશન ફેઝ ચાલી રહ્યો છે. તાપમાનમાં ધીમી ધીમે ઘટાડો થવાથી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને આવતા અઠવાડિયા બાદ ઠંડી વધુ વધવાની શક્યતા છે. ડૉ. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર આ સમય સામાન્ય રીતે હેલ્ધી સીઝન ગણાય છે, જો લોકો કસરત અને સારો ખોરાક દ્વારા પોતાની તંદુરસ્તીની કાળજી લે. શિયાળાના ટ્રાન્ઝિશન ફેઝમાં વાયરલ ઇન્ફેક્શન વધ્યાહાલમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શનના જોવા મળી રહ્યા છે. ગયા એક મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 350 જેટલા દર્દીઓએ વાયરલ ઇન્ફેક્શન માટે સારવાર લીધી. પાણીજન્ય રોગોમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એલર્જી ધરાવતા લોકો, જેમ કે બ્રોન્કાઇટિસ, અસ્થમા, રાઇનાઇટિસ અથવા આંખના એલર્જિક ઇન્ફેક્શનવાળા લોકો માટે આ સમય થોડો પડકારજનક છે. AQI ઇન્ડેક્સ ઘણા વિસ્તારોમાં વધારેઅત્યારે AQI ઇન્ડેક્સ ઘણા વિસ્તારોમાં વધતા, ધૂળ-ધુમાડાથી બચવા માટે સંવેદનશીલ લોકો માટે માસ્ક પહેરવું અત્યંત જરૂરી હોવાનું તબીબોનું માનવું છે. યોગ્ય સાવચેતી લેવાથી અસ્થમા અથવા બ્રોન્કાઇટિસના એટેક્સ ટાળી શકાય છે. ડૉક્ટર સલાહ આપે છે કે જો કોઈને હાઈ ગ્રેડ તાવ, વધુ વીકનેસ કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો જાતે દવા કરવાને બદલે તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. એલર્જિક લોકો માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરીજરૂરી જણાય તો તપાસ પણ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ. એટલે કે, આ સીઝન હેલ્ધી ગણાય છે, અને નિયમિત કસરત તથા સારા ખોરાકથી બીમાર થવાની શક્યતાઓ ઘટી શકે છે. પરંતુ એલર્જિક લોકો માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં સુરતથી અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી UCC કમિટીને પડકારતી અરજી એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ કરી હતી. જેમાં અરજદાર અને સરકાર એમ બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાં જુલાઈ મહિનામાં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી હતી. જેથી આ ચુકાદા સામે અરજદારે હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. આજે આ મુદ્દાની સુનવણીમાં હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે કમિટીની રચના કરવી તે સંપૂર્ણ પણે રાજ્યનું એક્ઝિક્યુટિવ કાર્ય છે. કોર્ટ તેમાં કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે ? સિંગલ જજે પણ કહ્યું છે કે આ સંપૂર્ણપણે બંધારણ દ્વારા રાજ્યને અપાયેલા પાવર મુજબ કમિટી રચાઈ છે. જો કે અરજદારે કહ્યું હતું કે કોઈપણ જાતના જાહેરનામાં વગર કમિટી રચી દેવાઈ છે. હાઈકોર્ટે કહ્યું- કમિટી રચવા બાબતે હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીંહાઇકોર્ટે કહ્યું હતું કે રાજ્યે બંધારણના આર્ટિકલ 162ના પાવર મુજબ કમિટીની રચના કરી છે. આ સંપૂર્ણ પણે રાજ્યનું અધિકાર ક્ષેત્ર છે. જેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી કરી શકે નહીં કે તેમાં જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે નહીં. અરજદારે કહ્યું હતું કે કોઈ પણ જાહેરનામાં વગર કમિટીની રચના કરાઈ છે. લેજિસ્લેચર છે તો શા માટે જાહેરનામું બહાર ના પાડ્યું ? હાઇકોર્ટે કહ્યું હતું કે અરજદારને સોર્સ ઓફ પાવર બાબતે કોઈ તકરાર નથી. બંધારણ કોર્ટને રાજ્યના વહીવટી કાર્યોના જ્યુડિશિયલ રિવ્યુની મંજૂરી નથી આપતું. કમિટીની રચનામાં લઘુમતી કોમના કોઈ સભ્યને સમાવાયા નથી તે સિવાય અરજદાર પાસે બીજી કોઈ દલીલો નથી. રાજ્યના કમિટીની રચનાના પાવરને ચેલેન્જ કરાયેલ નથી. જેથી આ અરજીને નકારી નાખવામાં આવે છે. કમિટીમાં લઘુમતિ સમાજના કોઈ સભ્ય ન હોય અપીલ કરાઈ હતીઉલ્લેખનીય છે કે સિંગલ જજ સમક્ષ અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા શક્યતાઓ તપાસવા માટે એક કમિટીની જાહેરાત કરી હતી. જે ગુજરાતમાં UCC ને લગતો ડ્રાફ્ટ તૈયાર કરશે. જો કે આ કમિટીમાં અલગ અલગ ધર્મના લોકો નથી, એટલું જ નહીં પરંતુ લઘુમતી જેવા કે મુસ્લિમ, પારસી, ક્રિશ્ચન, શીખ જૈન કે બૌધ ધર્મના લોકો પણ નથી. આ અંગે 16 માર્ચ, 2025 ના રોજ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી. કમિટીના અધ્યક્ષ સ્થાને રિટાયર્ડ જજ રંજના દેસાઈ છે. જેઓ અગાઉ ઉત્તરાખંડ UCC કમિટીના ચેરપર્સન રહી ચૂક્યા છે. સભ્ય એવા આર.સી.કોડેકર ક્રિમિનલ કાયદાના નિષ્ણાંત છે અને સરકાર તરફે વકીલ રહી ચૂક્યા છે. દક્ષેશ ઠાકર કે જેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, તેઓ સીધી રીતે પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા છે. ગીતા શ્રોફ પણ કોઈ સામાજિક કાર્યકર્તા નહીં, પરંતુ રાજકારણ સાથે સંકળાયેલ છે. જ્યારે સી.એલ.મીણા રિટાયર્ડ સનદી અધિકારી છે. તેમને ધાર્મિક કાયદાઓનું જ્ઞાન હોય નહીં. વર્તમાન કમિટીને ભંગ કરી નવી કમિટી રચવાની માગ કરવામાં આવી હતીUCC દેશના ધાર્મિક વૈવિધ્યતાને ખતમ કરશે અને લઘુમતીઓને અસર કરશે. અરજદાર દ્વારા સ્વામિનાથન કમિટીનું ઉદાહરણ અપાયું હતું જેમાં ખેત નિષ્ણાંતો હતા. બીજું ઉદાહરણ ક્રિષ્ના કુમાર કમિટીનું હતું જે શાળાના શિક્ષણ સાથે સંકળાયેલી હતી, તેમાં શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાંતો હતા. ત્રીજું ઉદાહરણ શેખરન કમિટીનું અપાયું હતું. જે ડિફેન્સને લગતી હોવાથી તેમાં ડિફેન્સ નિષ્ણાતો હતા. અરજદારે કહ્યું હતું કે આ કમિટીઑની રચના જે ઉદ્દેશ માટે થઈ હતી તે કમિટીના સભ્યો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંત લોકો હતા. પરંતુ UCC માં તેવું નથી. જેથી વર્તમાન કમિટીને ભંગ કરીને નવી કમિટીની રચના કરવામાં આવે. અરજદારે સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારની કમિટી રચવાના પાવરને તે ચેલેન્જ કરતો નથી. પરંતુ સમાન પ્રતિનિધિત્વની માંગ કરે છે. આ કમિટીમાં ના તો કોઈ ધાર્મિક લઘુમતી સમુદાયના સભ્ય છે કે ના જે તે કાયદાના નિષ્ણાંત સભ્ય છે. કોને પસંદ કરવા અને ન કરવા તે વિશે અરજદાર સરકારને બાધ્ય કરી શકે નહીં- એડવોકેટ જનરલઅરજદારની રજૂઆત વિરુધ્ધ એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે અરજદારે હાઇકોર્ટ પાસેથી મેન્ડેમસ રીટ કરીને નિર્દેશ માગ્યા છે કે જૂની કમિટીના સભ્યોની જગ્યાએ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે. પરંતુ મેન્ડેમસ અરજીના કાર્યક્ષેત્રમાં આવો કોઈ નિર્દેશ આવી શકે નહીં. કારણ કે સરકાર પોતાની લીગલ ડ્યુટી નિભાવવામાં નિષ્ફળ નીવડી હોય તો જ આ અરજી અંતર્ગત દાદ માંગી શકાય. અહીં આવું કશું બન્યું નથી. કમિટીની રચના કરવાનો અબાધિત અધિકાર સરકારનો છે. કોને પસંદ કરવા અને કોને ન કરવા તે વિશે અરજદાર સરકારને બાધ્ય કરી શકે નહીં. જેથી કાયદાકીય રીતે સરકારે કમિટી રચીને કશું જ ખોટું કર્યું નથી. કોણ નિષ્ણાંત છે કે નહીં તે નક્કી કરવાનું કાર્ય અરજદારનું નથી. આ અરજીમાં રાજ્યના કમિટી નીમવાના પાવરનો અરજદારે પણ સ્વીકાર કર્યો છે અને તેને ચેલેન્જ કરાયેલ નથી. જેથી આ અરજીને નકારી દેવામાં આવે. અરજદારે છેલ્લે કહ્યું હતું કે આ મુદ્દો રાજ્યની 7 કરોડ જનતાને સ્પર્શતો છે, ત્યારે તેમાં જ્યુડિશિયલ રીવ્યુની જરૂર છે.
બોટાદ LCB પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી:87 બિયરના ટીન મળ્યા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ
બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે બે શખ્સો પાળીયાદ તરફથી દારૂ ભરેલી કારમાં ઝરીયા ગામ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રસ્તા પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર પસાર થતાં જ પોલીસે તેને રોકી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કારમાંથી કુલ 87 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર રામ ખાચર અને અજીત ભોજકની ધરપકડ કરી છે. તેમની સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 2.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં આવી રહ્યું છે તે માત્ર અફવા છે અને તેઓ આ આયોજન સાથે કોઈપણ પ્રકારે સંકળાયેલા નથી. શું છે સમગ્ર મામલો?હાલમા સોશિયલ મીડિયામાં એક જાહેર આમંત્રણ ફરતું થયું છે. જેમાં ઉલ્લેખ છે કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં 'રીધમસ ફાઉન્ડેશન' દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન થશે. આ આમંત્રણમાં દાવો કરાયો હતો કે વંશાવલીનું પ્રથમ પૂજન જામસાહેબના રાજમહેલમાં થશે અને ત્યાંથી પોથીયાત્રા યજ્ઞશાળા સુધી જશે. જામસાહેબે સ્પષ્ટતા કરીઆ અંગે જામસાહેબે સ્પષ્ટતા કરી છે કે, તેમને 'રીધમસ ફાઉન્ડેશન' વિશે કોઈ જાણકારી નથી. તેમણે આ બાબતે કોઈ મંજૂરી આપી નથી અને તેઓ આ અશ્વમેઘ યજ્ઞના આયોજન સાથે કોઈ પણ પ્રકારે જોડાયેલા નથી. મહારાજા જામસાહેબ ઓફ નવાનગર દ્વારા તેમના પ્રજાજનોને આ જાહેર સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમણે વાયરલ થયેલી માહિતીને ખોટી ગણાવી છે.
મોરબી જિલ્લાના હળવદમાં એક ડોક્ટર સાથે શેરબજારમાં રોકાણના નામે 48.14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. આ મામલે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોભામણી સ્કીમો દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં, હળવદના ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાને ફેસબુક મેસેન્જર પર 'Irina Fedorova' નામની ID પરથી સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની માહિતી મળી હતી. આરોપીઓએ કાવતરું રચીને 'Y96 SIG Customer Service' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને ડો. ચેતનકુમારને તેમાં ઉમેર્યા. આરોપી દીપક મલ્હોત્રાએ તેમને જુદી જુદી સ્કીમો સમજાવી હતી. ગ્રુપ એડમિન રોહિતસિંઘે અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી ડોક્ટર પાસેથી કુલ 43.55 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું. જ્યારે ડો. ચેતનકુમારે રોકાણ કરેલી રકમ પાછી ખેંચવા જણાવ્યું, ત્યારે સર્વિસ ટેક્સના નામે વધુ 4.59 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. આ રકમ પણ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી. આમ, ડો. ચેતનકુમાર સાથે કુલ 48.14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા અંગે DYSP વિરલ દલવાડીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, મૂળ રાણેકપર ગામના અને હાલ હળવદના ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાએ ગત 18 નવેમ્બરે સાત મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. વસાવા અને તેમની ટીમે આ મામલે રાહુલ હર્ષદભાઈ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડીયા, જયદીપ રામભાઈ લગારીયા, શ્યામ કિશોરભાઈ રૂપાપરા અને રાજુભાઈ દેવાંગભાઈ નાદાણિયાની ધરપકડ કરી છે. આ આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે અને મુખ્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લા કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સના બેફામ વેચાણના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી નારેબાજી અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સભ્યો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને દારૂ-ડ્રગ્સના કારણે અનેક વ્યક્તિઓ પાગલ થઈ ગયા છે. આ ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશન પટેલે જણાવ્યું હતું કે, આ મુદ્દે સરકારની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ અવાજ ઉઠાવતી રહેશે. કોંગ્રેસના આ હલ્લાબોલને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં ગઈકાલે પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર જઈને બે અલગ અલગ હથિયાર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કેસમાં પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ દારૂના નશામાં સસરાના ઘરની બહાર જઈને ફાયરિંગ કર્યું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટના બે ગુના અને મારામારીનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસ દ્વારા આરોપીનું હથિયાર રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. હથિયાર સાથે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડગઈકાલે બપોરે 3:30 વાગ્યાની આસપાસ વિજય ચાર રસ્તા પાસેની સુભાષ સોસાયટીના બંગલા નંબર 16ની બહાર મનહરભાઈ સોનીના જમાઈ રાહુલ સોનીએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા પહોંચી નહોતી. મનહરભાઈએ તાત્કાલિક 112 ઇમરજન્સીનો કોન્ટેક કર્યો હતો. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી અને હથિયાર સાથે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરી હતી. ઘરેથી ટાઇટેનિયમ ગાડીમાં 12 બોરની બંદૂક અને રિવોલ્વર લઈ નીકળ્યોપોલીસે ફાયરિંગ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રાહુલ સોની ફરિયાદી મનહર સોનીનો જમાઈ છે. આરોપી રાહુલ સોનીનો પત્ની મયુરી સાથે કેટલાક સમયથી કંકાસ ચાલતો હતો. આ કંકાસ દરમિયાન મનહરભાઈ અવારનવાર બંનેને સમજાવતા હતા, પરંતુ થોડા સમય બાદ ફરીથી બંને વચ્ચે કંકાસ ચાલુ થઈ જતો હતો. ગઈકાલે પણ પતિ-પત્ની વચ્ચે કંકાસ થયો હતો, આ દરમિયાન રાહુલે સસરા મનહરભાઈને ફોન કરીને કહ્યું હતું કે, હવે આનું શું કરવાનું ત્યારે. મનહરભાઈએ કોઈ જવાબ ના આપતા રાહુલ તેમના સેટેલાઈટ ખાતેના ઘરેથી ટાઇટેનિયમ ગાડીમાં 12 બોરની બંદૂક અને રિવોલ્વર સાથે લઈને મનહરભાઈના બંગલે પહોંચી ગયો હતો. રાહુલે ઘરની બહાર બંને બંદૂકથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુંરાહુલની પત્ની પણ સાથે સાથે મનહરભાઈના ત્યાં પહોંચી હતી. રાહુલ હથિયાર લઈને નીકળ્યો હોવાની રાહુલના પત્નીએ પહેલાથી જ જાણ કરી દીધી હોવાથી ઘરનો દરવાજો બંધ રાખ્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા રાહુલે ઘરની બહાર બાર બોરની બંદૂકમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. રાહુલના બંને હથિયારના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાહુલ સોની સામે અગાઉ સેટેલાઈટ, આનંદ નગર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આનંદ નગરમાં રાહુલ સોની વિરુદ્ધ બે આર્મ્સ એકટની અને સેટેલાઈટમાં મારામારીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે રાહુલના બંને હથિયારના લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ જ્યારે હથિયાર લઈને પહોંચ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો.
ડમ્પર નીચે કચડાઇ જતા બાળકીનું મોત:ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો, સાયલાના સુદામડા નજીકની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક સુદામડા ગામ પાસે એક બાળકીનું ડમ્પરની ટક્કરે કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુદામડા ગામ નજીક એક ડમ્પર ચાલક બેફામ રીતે વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન, રસ્તા પર ઊભેલી કે ચાલી રહેલી બાળકીને ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ:ખેડૂતોને ₹1612 ભાવ મળતા ખુશી, B-ગ્રેડ ખરીદીની માગ
બોટાદમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. CCI દ્વારા A-ગ્રેડ કપાસની ખરીદી પ્રતિ ક્વિન્ટલ ₹1612 ના ભાવે શરૂ કરાઈ છે, જે બજાર ભાવ (₹1300-₹1450) કરતાં વધુ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, કમોસમી વરસાદને કારણે પલળી ગયેલા B-ગ્રેડ કપાસની ખરીદી અંગે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. આ ખરીદીનો પ્રારંભ APMCના ચેરમેન, CCIના અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું કે બજારમાં તેમને ₹1300 થી ₹1450 સુધીનો જ ભાવ મળતો હતો, જ્યારે CCI દ્વારા મળતો ₹1612 નો ભાવ તેમના માટે રાહતરૂપ છે. બોટાદ જિલ્લામાં કુલ 1.53 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. અત્યાર સુધીમાં 4000 જેટલા ખેડૂતોએ ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ પ્રક્રિયા હજુ ચાલુ છે. શહેરના 12 કેન્દ્રો પર CCI દ્વારા કપાસની ખરીદી કામગીરી શરૂ કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોનો કપાસ પલળી ગયો છે. આવા પલળી ગયેલા અથવા B-ગ્રેડ કપાસની પણ CCI દ્વારા ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોએ ઈચ્છા વ્યક્ત કરી છે. બોટાદ APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવ્યું કે B-ગ્રેડ કપાસને પણ ખરીદીમાં સામેલ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. કોટન જીનીંગ એસોસિએશને પણ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે. CCIના અધિકારી અરુણ સેનેગલ અને APMCના ચેરમેન મનહરભાઈ માતરીયાએ આ અંગે માહિતી આપી હતી.
મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિરમાં ગયા હોવાથી ગયા મંગળવારે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ સ્વર્ણિમ સંકુલ લગભગ ખાલી જોવા મળી રહ્યું હતું, પરંતુ આજે સોમવારે ઓફિસો શરૂ થતા જ અરજદારો અને મુલાકાતીઓની અવરજવરથી સ્વર્ણિમ સંકુલ ફરી ધમધમતું થયું. શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને આવેદનપત્ર આપ્યુંઆજરોજ TAT (Higher Secondary Secondary) ઉમેદવારો મોટી સંખ્યામાં સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને આવેદનપત્ર આપ્યું. ત્યારબાદ ઉમેદવારો દ્વારા વિધા સમીક્ષા કેન્દ્રમાં પણ આવેદન પત્ર આપી વિગતવાર રજૂઆત કરવામાં આવી. ઉમેદવારોની મુખ્ય માંગણીઓ ઉમેદવારોનું કહેવું છે કે, 'લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન છે. TAT પાસ યુવાનો લાંબા સમયથી રાહ જોયા કરે છે, હવે સરકાર ત્વરિત નિર્ણય લે.'
દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથયાત્રા સાથે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સનાતન ધર્મના રક્ષણ માટે સૌ સંકલ્પબદ્ધ થાય તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ પરિવારમાં ત્રણ સંતાનોનો સંકલ્પ લે એના જ લગ્ન કરવવાનું આહ્વાન કર્યું હતું. ત્રણ સંતાનની ના કહે તેને લગ્નનનો સંકલ્પ નહીં લેવડાવવાનોઃ સ્વામીસ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો સંકલ્પ લે એના જ લગ્ન કરવા. ત્રણ સંતાનની ના કહે તેને લગ્નનનો સંકલ્પ નહીં લેવડાવવાનો. એક જગ્યાએ સંખ્યા વધી જાય અને એક જગ્યાએ સંખ્યા ઘટી જાય તો એનો ઉપાય આપણે કરવાનો છે જે ઉપાય આપણે શોધી કાઢ્યો છે. ત્રણ સંતાન હોવા જોઈએ, કારણ કે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા જાશે? એ કોઈની સેવા કરવા જશે? ક્યાય પણ સેવા કરવી હોય તો એના ભાઈ-બહેન તો હોવા જ જોઈએ. સન્યાસ લેવા માટે પણ ભાઈ હોવો જોઈએ. ત્રણ સંતાનોનો જે વિચાર છે તે દરેક પ્રમુખો તેના સમાજમાં ફેલાવો. 'પહેલા ચાર-પાંચ સંતાનો થતા હતા છતાં બધાનું ઘર ચાલતું હતું'સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, ત્રણ સંતાનમાં એક સંતાન રાષ્ટ્ર માટે હોય, દેશ માટે હોય, એક સંતાન સમાજ માટે કામ કરે અને એક સંતાન પોતાના પરિવાર માટે હોય. હિન્દુ ધર્મમાં સંતાનો ઓછા થવા લાગ્યાં છે. પહેલા ચાર-પાંચ સંતાનો થતા હતા છતાં બધાનું ઘર ચાલતું હતું. ધીમે ધીમે આપણી માનસીકતા બદલી અને અમે બે અને અમારા બેમાં આપણે આવ્યાં. જે બાદ અમે બે અને અમારો એક. હવે અત્યારે તો અમે બે અને અમારો કોઈ નહીં. જ્યારે પણ લગ્ન થાય ત્યારે જે પતિ-પત્ની હોય તેઓ બધા ભૂદેવો અને બધા સમાજની સામે સંકલ્પ લે કે અમે ત્રણ સંતાનો કરી રાષ્ટ્રની, સમાજની અને અમારા પરિવારની સેવા કરીશું. 'આવનારા સમયમાં મામા, માસી, ફઈ-ફુવા આ બધા સંબંધો પૂર્ણ થઈ જશે'વધુમાં જણાવ્યું કે, આપણો હિન્દુ સમાજ ધીમે ધીમે લઘુમતી તરફ જઈ રહ્યો છે. પેલા એમ કહેવાતું કે, જો તું મને મારીશને તો મારા ઘરે મારા પાંચ ભાઈઓ બેઠા છે પણ આજે એવો સમય આવ્યો છે કે જો એક જ સંતાન હશે તો આવનારા સમયમાં મામા, માસી, ફઈ-ફુવા આ બધા સંબંધો પૂર્ણ થઈ જશે. કૌટુંબિક વ્યવસ્થા જે આપણા સતાનત ધર્મનો પાયો છે. આપણા જ યુવાનો કહે છે કે, અમે લગ્ન કરશું બધા ભોગ અમે સ્વિકારીએ છીએ પણ અમે સંતાન નહીં કરીએ. ત્યારે આ માનસિકતામાંથી બહાર આવી અને ત્રણ સંતાનના સંકલ્પ સાથે દરેક કપલ લગ્ન કરે. ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથયાત્રા સાથે પ્રારંભ દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથયાત્રા સાથે પ્રારંભ હમીરસર તળાવ પાસે આવેલા રામધૂન મંદિરથી થયો હતો. જેમાં મિરઝાપર શ્રીકૃષ્ણ બેન્ડ પાર્ટી અને કપિરાજ બાળ મંડળના બાળકો વાજિંત્રો સાથે જોડાયા હતા. કાર્યક્રમનો શુભારંભ બાલિકાઓના અને સાધુ-સંતોના આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય તેમજ સ્વાગત નૃત્ય (શિવસ્તુતિ) દ્વારા કરાયો હતો. ઉપસ્થિત સંતો સુબોધમુનિજી, લાલગિરિજી બાપુ (રૂદ્રાણી જાગીર), કૃષ્ણાનંદજી મહારાજ (પાંકડસર જાગીર-કબરાઉ), સીતારામદાસજી (ગણેશનગર), ધરમશી માતંગ (મહેશ્વરી સમાજના ધર્મગુરુ), રવિગિરિજી (માંડવી), સ્વામિનારાયણ મંદિર-ભુજના સંતો સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી ગોલોકવિહારીદાસજી તેમજ સ્વામી આત્માનંદજી, સોનલાલજી મહારાજ, સ્વામી ગિરીજાગિરિજીનું ટ્રસ્ટીઓ કિરણ ગણાત્રા અને ગુલાબભાઈ ગજ્જર દ્વારા શાલ-ભેટથી સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જીવનમાં મહત્ત્વ સમજાવ્યુંઆ ઉપરાંત, સાધુ-સંતો અને સ્વામીઓ દ્વારા સમગ્ર કચ્છમાંથી આવેલા હિન્દુ સમાજોના જ્ઞાતિ પ્રમુખો તેમજ મહિલા મંડળોના અધ્યક્ષોનું પાથ અને મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી ગોલોકવિહારીદાસજીએ હિન્દુ ભાઈઓ-બહેનોને સમાજ, સંસ્કૃતિ અને સંસ્કારનું જતન કરવા તથા સનાતન સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા અનુરોધ કર્યો હતો. ગીતા અને સનાતન ધર્મ મુદ્દા પર વક્તા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જીવનમાં મહત્ત્વ સમજાવ્યું હતું. સ્વામીએ આવનારી પેઢીના જતન માટે 10 નિયમો જણાવ્યા હતા.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરના અમુક વિસ્તારોમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. જેને લઈને શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. મનપાએ આજે જાહેર કરેલા સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓમાં શરદી-ઉધરસનાં 1314 કેસ અને તાવના 865 કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઉલટીનાં 198 કમળાનાં 2 અને ડેંગ્યુનાં 3 સહિત વિવિધ રોગના મળી કુલ 2,382 કેસ નોંધાયા છે. આમ મનપાનાં આંકડાઓ મુજબ પણ શરદી-ઉધરસ અને સામાન્ય તાવના દર્દીઓ વધ્યા છે. છેલ્લા ત્રણેક સપ્તાહથી એટલે કે શિયાળાની શરૂઆતથી આ કેસો સતત વધી રહ્યા છે. આ પહેલા ગત સપ્તાહે શરદી ઉધરસનાં 1048 અને તાવના 856 કેસો હતા. એ પહેલાં 10 નવેમ્બરે શરદી ઉધરસના 807 અને સામાન્ય તાવના 717 કેસો સામે આવ્યા હતા. આ રીતે જોઈએ તો છેલ્લા ત્રણેક સપ્તાહમાં શરદી-ઉધરસનાં કેસો ડબલ જેટલા થયા છે. આમ પ્રદુષણનો આંક વધે તેની સાથે શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થાય છે. તો લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. રાજકોટ મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં પ્રદુષણનો આંકડો ઉપર જતો હોય છે. તેમાં પણ ખાસ કરી વહેલી સવારથી લઈને સૂર્યોદય સુધી પ્રમાણ વધારે રહે છે. જો કે હાલ રામાપીર ચોકડી, નાનામૌવા ચોક, કોર્પોરેશન ચોક, જામટાવર ચોક અને સોરઠીયા વાડી સર્કલ સહિત પાંચેક વિસ્તારોમાં આંકડો 300ને પાર પહોંચ્યો છે. જે ખરેખર નોંધનીય બાબત છે. પરંતુ આ વિસ્તારોમાં ખૂબ ટ્રાફિક રહેતો હોવાને કારણે પ્રદુષણ વધ્યું છે. ત્યારે હવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે સામાન્ય રીતે તો શિયાળામાં જ પ્રદુષણ વધુ જોવા મળે છે. પરંતુ આવી સ્થિતિ આખું વર્ષ ન રહે તેના માટે વૃક્ષો વાવવા એ પણ એટલું જ જરૂરી છે. તેમજ લોકોએ શક્ય તેટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવો જોઈએ. પ્રદુષણને લઈ ખાસ નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર થાય છે. તો આવા લોકોએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જો ફરજિયાત બહાર જવુ પડે તો ખાસ માસ્ક પહેરવું જોઈએ. જેનાથી પ્રદુષિત હવાને કારણે થતા શરદી-ઉધરસ સહિતના રોગોથી બચી શકાય છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેમલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં આવા 20 આસમીઓને નોટિસ આપવામાં આવી છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા જ્યાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય તેમજ હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા કેસો સામે આવતા હોય તે વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરે છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા 649 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વોલેન્ટીયર્સ દ્વારા તા. 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 16,749 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 683 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી ફોગીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 144 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 61 તો કોર્મશીયલમાં કુલ 20 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. જેને પગલે 18 નવેમ્બરે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ થયો હતો. ત્યાર બાદ આજે(1 ડિસેમ્બર, 2025) ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસની ટ્રાયલ શરૂ થતાની સાથે જ એક સાક્ષીની તબિયત લથડી હતી. સાક્ષી નાદુરસ્ત તબિયતનું કારણ આપી જુબાની ન આપી શકતા સાક્ષીને કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે ગભરાયેલા છો? કોઈ તમને ધમકી આપી રહ્યું છે? સાક્ષીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા કોર્ટનો આદેશ સમગ્ર ઘટના નજરે જોનાર સાક્ષી હાલ જુબાની ન આપી શકતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા કોર્ટે આદેશ કર્યો હતો. અકસ્માત કેસના તપાસ અધિકારી DYSP એસ.જે.મોદીને કોર્ટે સાક્ષીને હકીકતમાં તકલીફ છે કે અન્ય કારણો છે તેની તપાસ કરવા આદેશ કર્યો છે. આ કેસની પ્રક્રિયા દરમિયાન આરોપી અને જામીન પર મુક્ત તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ પણ કોર્ટ રૂમમાં હાજર હતા. આજે કેસની ટ્રાયલમાં આગળ વધુ કાર્યવાહી થઈ શકે છે. 1684 પાનાની ચાર્જશીટ અમદાવાદ ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPC ની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે, તેમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી થઈ છે, જે અરજી પેન્ડિંગ છે. કુલ 14 દસ્તાવેજી પુરાવા,191 સાક્ષી2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 08 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા છે. FSLના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા. અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં ACP એસ.જે.મોદી ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક-પોલીસ ઇન્સ્પેકટર વી.બી.દેસાઈ, જેઓ આ કેસમાં ફરિયાદી પણ છે, તેમણે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની તપાસ કુલ 17 પોલીસકર્મચારી ટ્રાફિકના અધિક પોલીસ કમિશનર એન. એન.ચૌધરીના માર્ગદર્શન નીચે થઈ હતી, જેમાં ACP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે સામેલ છે. 141ની સ્પીડે જેગુઆર દોડાવી અકસ્માત સર્જતાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાંઆ અકસ્માતમાં 9 લોકોનાં મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયાંને 2 વર્ષ પૂર્ણ થયાં છે. આરોપી સામે IPC 304 લાગે કે 304 A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે, જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયાં હતાં. તથ્ય પટેલ બેવાર હંગામી જામીન મેળવી ચૂક્યો છેજો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની પર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત્ રાખી હતી. વળી, પીડિતોએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યારસુધીમાં બે વખત હંગામી જામીન પર પોલીસજાપતા સાથે બહાર આવેલો છે, જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ચાર્જફ્રેમ થતાં હવે કેસની આગળ ટ્રાયલ ચાલશેઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી, જોકે તેને તેની પર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. એને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતાં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. શું છે સમગ્ર ઘટના?19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તે હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. તેની સામે અકસ્માતથી લઈ આજદિન સુધી કોર્ટમાં શું શું થયું એ ગ્રાફિક્સની મદદથી સમજીએ...
વાટલિયા પ્રજાપતિ સમાજના 25 યુગલોના સમૂહ લગ્ન:સરખેજમાં ભવ્ય આયોજન, સમાજની એકતાનો સંદેશ
અમદાવાદના સરખેજ ખાતે સર્વ વાટલિયા પ્રજાપતિ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્નમાં ૨૫ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વૈદિક ધાર્મિક પરંપરા મુજબ આ લગ્ન સંપન્ન થયા હતા. સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં લગ્નો પાછળ થતા અતિશય ખર્ચાઓ, દેખાદેખી અને ખોટી માન્યતાઓને કારણે માતા-પિતા પર આવતા આર્થિક બોજને ઘટાડવાનો આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સરખેજ ખાતેના વિશાળ અને કલાત્મક મંડપમાં નયનરમ્ય ચોરીઓ તૈયાર કરવામાં આવી હતી. સવારે ૨૫ વરરાજાઓનું શરણાઈ અને ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ વૈદિક પરંપરા મુજબ હસ્તમેળાપ અને લગ્નવિધિ સંપન્ન થઈ હતી. આ ભવ્ય સમૂહ લગ્નમાં નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે સાધુ-સંતો, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા માટે સર્વ પ્રજાપતિ વાટલિયા સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોએ નવદંપતિઓને વિવિધ ભેટો અર્પણ કરી હતી. ઉપરાંત, સમાજના મહાનુભાવો અને પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા વિવિધ સેવાઓ માટે દાનનો પ્રવાહ વહાવવામાં આવ્યો હતો. સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ ખસતિયા (વાટલિયા) એ જણાવ્યું હતું કે, સમાજમાં લગ્નો પાછળ થતા બેફામ ખર્ચાઓ અને દેખાદેખીને કારણે ઘણા માતા-પિતા દેવાદાર બની જાય છે. આવા સમયે સમૂહ લગ્ન એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સમાજના દરેક શુભેચ્છક અને હિતચિંતક સભ્યો આ પરંપરાને ઉમળકાભેર વધાવી રહ્યા છે, જેનો ટીમને આનંદ છે. ટ્રસ્ટ સમાજના દરેક માતા-પિતા તેમના દીકરા-દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં કરાવે તે માટે પ્રેરણાદાયી કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યું છે.
શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ભાટ ખાતે ભારતીય જ્ઞાન પરંપરા વિષય પર એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના વિદ્યાર્થીઓએ આરોગ્યશિક્ષણ, ઋષિ જીવન, રાજાત્મક વ્યવસ્થા અને પ્રાચીન વિચારો જેવા વિષયો પર ગહન ચર્ચાઓ અને રજૂઆતો કરી હતી. આ આયોજનનો મૂળ વિચાર પ્રો. દર્શન કાનાણીનો હતો. તેમણે યુવા પેઢી દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાને નવા દૃષ્ટિકોણ સાથે લોકો સુધી પહોંચાડવાનો માર્ગ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે જ્ઞાન, સંસ્કાર અને સંશોધનના સુમેળથી યુક્ત પ્રસ્તુતિઓ રજૂ કરી, જે ઉપસ્થિત સૌને પ્રભાવિત કરી ગઈ હતી. સંસ્થાના ડિરેક્ટર અને પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ, પ્રોફેસર દર્શન કાનાણીએ એક સામાન્ય લેક્ચરને નવીનતા, સર્જનાત્મકતા અને જીવંત અનુભવો વડે વિશિષ્ટ કાર્યક્રમનું સ્વરૂપ આપ્યું. આ પ્રવૃત્તિમાં ભારતીય જ્ઞાન પરંપરાનું આધુનિક શિક્ષણ સાથે અનોખું સંકલન જોવા મળ્યું. આ સમગ્ર આયોજન દરમિયાન વિચારથી લઈને પ્રસ્તુતિ, આયોજન, સંકલન અને નિષ્પત્તિ સુધીના દરેક વિભાગને ખૂબ જ વિચારપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવ્યા હતા, જેના પરિણામે કાર્યક્રમ પ્રેરણાદાયક અને મૂલ્યવાન બન્યો હતો.
રેલવેએ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હવે તત્કાલ બુકિંગ માટે OTP વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. જે આજથી એટલે કે, 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યું છે. આ પ્રોસેસમાં OTP વેરિફિકેશન બાદ જ ટિકિટ બુકિંગ કન્ફર્મ થશે. આ નવી વ્યવસ્થા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન કાઉન્ટર, ઓથોરાઇઝ્ડ એજન્ટ, IRCTC વેબસાઇટ અને IRCTCની એપ દ્વારા બુક કરાયેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. ટિકિટના દુરુપયોગને રોકવા રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો આ નવી પ્રોસેસમાં સફળતા મળશે તો આગામી સમયમાં બીજી ટ્રેનોના બુકિંગ માટે પણ આ પ્રોસેસ લાગુ કરવામાં આવશે. તમામ અપડેટ વેરિફાઈડ નંબર પર મળી રહેશેઓટીપી વેરિફિકેશન થકી બુકિંગ થતા ફેક મોબાઇલ નંબરથી થતું ગેરકાયદે તત્કાલ બુકિંગ ઘટશે, જેથી વધુ સાચા પેસેન્જરને તક મળશે. દરેક ટિકિટ વેરિફાઇડ મોબાઇલ ફોન નંબર સાથે જોડાયેલી હોવાથી બુકિંગ પ્રક્રિયા સુરક્ષિત થશે અને તેના દુરુપયોગથી મુક્ત બનશે. મોબાઇલ પર આવેલા OTPના વેરિફિકેશન બાદ બુકિંગ થતા એક જ નંબરથી વધુ બુકિંગ અટકશે. વાસ્તવિક મોબાઇલ નંબર રેલવેના રેકોર્ડમાં હોવાથી ઇમર્જન્સીના સમયે પેસેન્જર સુધી પહોંચવું સરળ બનશે. ટ્રેનો રદ કરાતા, રદમાં ફેરફાર કરાતા કે મોડી પડવાની સૂચના સીધી જ વેરિફાઇડ નંબર પર મોકલી શકાશે. પ્રયોગ સફળ થશે તો અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરાશેઃ દિવ્યાંગ નામદેવઆ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પી.આર.એસ.ના ચીફ રિઝર્વેશન ઇન્સ્પેક્ટર દિવ્યાંગ નામદેવના જણાવ્યા અનુસાર, શતાબ્દી ટ્રેનમાં તત્કાલ બુકિંગની પ્રક્રિયામાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તત્કાલ બુકિંગ સીધું થતું હતું. જોકે, હવે નવી પ્રોસેસ રજૂ કરવામાં આવી છે, જે મુજબ જ્યારે પણ કોઈ પેસેન્જર ટિકિટ બુક કરાવવા આવશે. ત્યારે તેના મોબાઇલ નંબર પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. પેસેન્જર દ્વારા આ OTP આપવામાં આવ્યા પછી જ ટિકિટનું વેરિફિકેશન થશે અને ત્યારબાદ જ બુકિંગની પ્રક્રિયા શરૂ થશે. હાલમાં આ ફેરફાર ફક્ત શતાબ્દી ટ્રેન માટે જ રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ જો આ પ્રયોગ સફળ થશે, તો તેને અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.
સુરતની વી.ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઑફ એજ્યુકેશન દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બી.એડ. અભ્યાસ કેન્દ્ર -૦૭૮૧૮૦૧ ના ઓગષ્ટ-૨૦૨૫ ના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ૩૦ નવેમ્બર, ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજાઈ હતી. કોલેજના આચાર્યા ડૉ. પત્રલેખા કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને લગતી મહત્વની બાબતો જેવી કે પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, પરિણામ અને અસાઇનમેન્ટ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની સમગ્ર પ્રક્રિયા, પ્રવેશથી લઈને પરિણામ સુધીની માહિતી પૂરી પાડવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. અભ્યાસકેન્દ્રના કોઓર્ડિનેટર ડૉ. પ્રવીણચંદ્ર ડી. પરમાર દ્વારા મહેમાનોનો પરિચય, સ્વાગત પ્રવચન અને બી.એડ. અભ્યાસક્રમ વિશેની વિગતવાર માહિતી તેમજ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ડૉ. રાજેશ ડી. રાણા અને રિજનલ સેન્ટર સુરતના આસિસ્ટન્ટ રિજનલ ડાયરેક્ટર ભૌતિક વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટીની વિવિધ પ્રક્રિયાઓની ઊંડાણપૂર્વકની માહિતી અભ્યાસ કેન્દ્રના કોઓર્ડિનેટર ડૉ. પ્રવીણચંદ્ર ડી. પરમાર દ્વારા ફરીથી આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કાર્યપ્રણાલીથી સંપૂર્ણપણે વાકેફ થાય.
હિંમતનગરમાં ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધા યોજાઈ:500 ખેલાડીઓએ ભાગ લીધો, વિજેતાઓ રાજ્યકક્ષાએ રમશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભોલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને કુલ 500 ખેલાડીઓએ ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું ટેકનિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું. આ એસોસિએશન કરાટે ડો ફેડરેશન ગુજરાત (KDF) અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝર (KIO)નું સભ્ય છે. સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓના 500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ અંડર-14, અંડર-17 અને ઓપન એજ ગ્રુપ જેવી અલગ અલગ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે રમત ગમત અધિકારી સાબરકાંઠા ત્રિવેણીબેન સરવૈયા, કન્વીનર જુજારસિંહ વાઘેલા, વ્યાયામ મંડળ સાબરકાંઠાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને મહામંત્રી નટુ સડાત, નિકુજ પટેલ, અલ્પેશ રામાણી, તખતસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રીતમનગર ખાતે સ્વ. પુષ્પવદન દેસાઈ પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી હિમાંશુ દેસાઈના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ૩૫ કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિલનમાં ૩ વર્ષના બાળકોથી લઈને 85 વર્ષના વડીલો સુધીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરિવારના યુવા સભ્યો દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ રમતો રમાડવામાં આવી હતી, જેનાથી સાંજનો માહોલ આનંદમય બન્યો હતો. આ પ્રવૃત્તિઓએ સૌને એકબીજા સાથે જોડાવાની તક પૂરી પાડી હતી. આ સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમનું સંચાલન ડો. મિહિકા દેસાઈ અને નિહાર દેસાઈએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પ્રીતિભોજન લીધું હતું અને ફરીથી મળવાના દ્રઢ નિશ્ચય સાથે મધુર યાદો લઈને છૂટા પડ્યા હતા.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના એસ.પી.યુ-એસ.એસ.આઈ.પી-નવાધારા એકમ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને કુલ ₹5.60 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ IPR (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ) અરજીઓને પણ ફાઇલ કરવાની મંજૂરી અપાઈ છે. બેઠકમાં વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ અને ફેકલ્ટી સભ્યો દ્વારા કુલ 6 પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ભાઈકાકા યુનિવર્સિટીના માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થી દ્વારા રજૂ કરાયેલ દિવ્યાંગ બાળકો માટેનું ગેમિફાઇડ અસેસમેન્ટ સાધન મુખ્ય હતું. આ સાધન રમતિયાળ પદ્ધતિથી બાળકની ગ્રિપ સ્ટ્રેન્થ, મોટર સ્કિલ્સ અને મસલ મૂવમેન્ટનું નિદાન અને મૂલ્યાંકન કરી શકે છે. તે પુનર્વસન પ્રક્રિયામાં ઝડપી અને સચોટ પરિણામો આપવામાં મદદરૂપ થશે. બી.જે.વી.એમ. કોલેજના BBAના વિદ્યાર્થીઓએ ‘RE-CAP’ ફ્લેવર-ઇન્ફ્યુઝ્ડ હેલ્થ કેપ સોલ્યુશન રજૂ કર્યું હતું. આ સોલ્યુશન દસ સેકન્ડમાં પાણીમાં કુદરતી હર્બ્સ અને પ્લાન્ટ-બેસ્ડ ન્યુટ્રાસ્યુટિકલ્સ ભેળવી આરોગ્યદાયક પીણું તૈયાર કરી શકે છે. ભારતીય બજારમાં પ્રથમ વાર વિકસાવવામાં આવી રહેલું આ શુગર-ફ્રી અને પ્રિઝર્વેટિવ-ફ્રી પીણું ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો માટે એક વિકલ્પ બની શકે છે. યુનિવર્સિટીના મટીરીયલ સાયન્સ વિભાગના એડહોક ફેકલ્ટી દ્વારા SPCryo-એનર્જી એફિશિયન્ટ ટેમ્પરેચર મેનેજમેન્ટ ટેક્નોલોજી પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ લેબોરેટરી, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ ટેસ્ટિંગ અને કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં તાપમાનને સ્થિર રાખવા માટે પરંપરાગત ઉપાયો કરતાં ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, IPRના ક્ષેત્રમાં યુવા ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવા માટે ત્રણ પ્રોજેક્ટ્સને ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી છે. આનાથી સંશોધન-આધારિત મોડેલ્સને સુરક્ષા મળશે અને વ્યાપારીકરણની દિશામાં આગળ વધવામાં મદદ મળશે. સરદાર પટેલ યુનિવર્સિટીનું એસ.પી.યુ-એસ.એસ.આઈ.પી-નવાધારા એકમ યુવા સંશોધકોને માર્ગદર્શન અને મેન્ટરશિપ પૂરી પાડે છે. દર મહિને યોજાતી આ સમીક્ષા બેઠકો યુવાઓના વિચારો અને આત્મવિશ્વાસને મજબૂત કરીને તેમને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરે છે.
પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડ જવાનોને આગ બચાવ અને સલામતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય જવાનોને આગ સંબંધિત કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ કરવાનો હતો. તાલીમ દરમિયાન, જવાનોને આગની ઘટનામાં પ્રાથમિક કાર્યવાહી કેવી રીતે કરવી, ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, લોકોનું સુરક્ષિત સ્થળાંતરણ કેવી રીતે કરાવવું અને તાત્કાલિક બચાવ પદ્ધતિઓનો અમલ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમથી પોલીસ અને હોમગાર્ડ જવાનોની ઇમરજન્સી પ્રતિસાદ ક્ષમતા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. તાલીમમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને પ્રેક્ટિકલ ડેમો સાથે સચોટ માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ વાસ્તવિક પરિસ્થિતિઓમાં અસરકારક રીતે કાર્ય કરી શકે.
બનાસકાંઠા LCB પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આલવાડા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 2154 બોટલ/ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત ₹5,16,761/- છે. ગાડી સહિત કુલ ₹7,36,761/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે DL12C4239 નંબરની ટોયોટા કોરોલા ગાડીમાંથી દારૂ સાથે આરોપી સુનીલ રામવિલાસ શ્યોકરણ નાઈ (રહે. બજીના, તોશમ, ભિવાની, હરિયાણા) ને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી, નાસી છૂટેલા આરોપીઓ, દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઈ-ચલણના દંડ ભરવામાં બેદરકારી દાખવનારા સુરતીઓ સામે હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગે એવા 113 વાહનચાલકોની યાદી તૈયાર કરી છે, જેમણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં અર્ધશતક બનાવી દીધું છે, એટલે કે તેમને 50થી પણ વધુ ઈ-ચલણ મળી ચૂક્યા છે. 113 વાહનચાલકો સામે કાર્યવાહીઆ તમામ 113 વાહનચાલકો એવા છે જેમણે આટલી મોટી સંખ્યામાં ઈ-ચલણ આવ્યા હોવા છતાં એક પણ વાર દંડની રકમ ભરી નથી. આ વાહનચાલકોએ લોક અદાલતનો લાભ લેવાની તક પણ જતી કરી છે, જેના કારણે ટ્રાફિક પોલીસે તેમની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. 50થી વધુ ચલણ, દંડની રકમ ભરી નથીઆ સમગ્ર મામલે સુરત ટ્રાફિકના ડીસીપી પન્ના મોમયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 113 લોકોને 50થી વધુ ઈ-ચલણ મળ્યા છે, કારણ કે તેઓએ વારંવાર અલગ અલગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ લોકોએ નિયમો તોડવાનું બંધ કર્યું નથી અને દંડ પણ ભર્યો નથી. જેથી અમે હવે આવા બેજવાબદાર લોકોની યાદી તૈયાર કરીને આરટીઓને મોકલી આપી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવા માટેની ભલામણ ડીસીપી મોમયાએ વધુમાં જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને આ 113 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસનો આ ઉદ્દેશ દંડ વસૂલવાનો નહીં, પરંતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો છે. નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહીલાયસન્સ સસ્પેન્ડ થવાના આ નિર્ણયથી વારંવાર નિયમો તોડતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નિયમ ભંગ કરીને જાહેર સલામતી જોખમમાં મૂકતા લોકો સામે હવે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં.
સુરતમાં એક અત્યંત હ્રદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. 'સ્પીડની મજા, મોતની સજા' આ કહેવત સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે સાચી પડી છે. માત્ર 18 વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મૃતકે પોતાના મોતના માત્ર બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે મોત અને સ્વર્ગની વાતો કરી રહ્યો હતો, જે આજે તેના માટે એક ભયાનક હકીકત બની ગઈ છે. અકસ્માત જોનારના કાળજા કંપી ઉઠ્યાંબનાવની વિગત મુજબ, પ્રિન્સ પટેલ પોતાની KTM બાઈક લઈને સુરતના યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેડ લાઇનર બ્રિજ પરથી નીચે ઉતરી રહ્યો હતો. બ્રિજ ઉતરતી વખતે બાઈકની સ્પીડ એટલી વધારે હતી કે, તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા બાઈક જોરદાર ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે, જોનારના કાળજા કંપી ગયા હતા. પ્રિન્સનું માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકઅકસ્માતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 18 વર્ષના જુવાનજોધ દીકરાના અચાનક મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું. જો તેણે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ જીવલેણ ઈજાથી બચી શકાયું હોત અથવા તો શરીરના અંગો આ રીતે ક્ષત-વિક્ષત ન થયા હોત. માતાએ ખૂબ મહેનત કરીને પ્રિન્સને ભણાવ્યો હતોઃ ડીસીપીઆ ગમખ્વાર અકસ્માત અંગે ટ્રાફિક ડીસીપી પન્ના મોમયાએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, માતાએ ખૂબ મહેનત કરીને તેને ભણાવ્યો હતો, પરંતુ ઓવર સ્પીડિંગના કારણે આ ઘટના બની. તેમણે લોકોને અપીલ કરી છે કે, રીલ બનાવવાની ઘેલછાના કારણે યુવાનો ઓવર સ્પીડિંગ કરી રહ્યા છે, જે ખૂબ જ જોખમી છે. આવા જોખમી કૃત્યોથી દૂર રહેવું જોઈએ અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. પ્રિન્સ એકનો એક દીકરો હતોમૃતક યુવકની માતા આવાસમાં રહીને દૂધ વેચાણ કરી મહામહેનતે પોતાનું ગુજરાન ચલાવતી હતી. પ્રિન્સ તેની માતાનો એકમાત્ર દીકરો હતો. તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. દીકરો મોટો થઈને પરિવારનો આધાર બનશે, તેવી માતાની આશાઓ હતી, પરંતુ ઓવર સ્પીડિંગ અને રીલ બનાવવાની ઘેલછાએ એક ગરીબ માતા પાસેથી તેનો એકમાત્ર આધાર છીનવી લીધો છે, અને હવે આ ઘટના બાદ તે માતા એકલી પડી ગઈ છે. પ્રિન્સને પોતાની નવી ‘લેલા’ પ્રત્યે દીવાનગીની હદ સુધી પ્રેમ હતોપોલીસ તપાસ અને પ્રિન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ (PKR BLOGGER) પરથી મળેલી વિગતો મુજબ, પ્રિન્સને પોતાની નવી KTM બાઈક પ્રત્યે દીવાનગીની હદ સુધી પ્રેમ હતો. તે પોતાની આ બાઈકને પ્રેમથી 'લેલા' કહીને બોલાવતો હતો. કરુણતા એ છે કે, અકસ્માતના માત્ર બે દિવસ પહેલાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાઈકને લઇ એક રીલ બનાવી શેર કરી હતી. આ રીલમાં એક ડાયલોગ હતો કે, જબ તક મજનુ જિંદા થા ઉસે ઇસ દુનિયા મેં લેલા સે ખૂબસૂરત કોઈ લગી નહીં, લેકિન અબ વહ ઉસ જહાન મેં હૈ જહાં હુર ઔર પરીયા ભી રહેતી હૈ, લેકિન વહા જાકર ઉસે લેલા સે હસીન કોઈ લગી નહીં રહી હૈ. જેને વધુ પ્રેમ કર્યો તે બાઈકએ જ મોતને નોતર્યુંઆ રીલમાં તે પોતાની બાઈક (લેલા) વિશે વાત કરી રહ્યો હતો કે, સ્વર્ગમાં જઈને પણ તેને પોતાની બાઈક જેવું કોઈ સુંદર લાગશે નહીં. આ શબ્દો જાણે કે તેના માટે ભવિષ્યવાણી સાબિત થયા હોય તેમ, આજે તે જ બાઈક પર સવાર થઈને તે કાયમ માટે આ દુનિયા છોડી ગયો છે. તેણે કેપ્શનમાં પણ લખ્યું હતું કે, લેલા કે અલાવા કોઈ નહીં. બાઈક પર 'મોન્સ્ટર' લખેલું અને સ્પીડ 140ની પ્રિન્સ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતો અને અવારનવાર બાઈક સ્ટંટ અને સ્પીડના વીડિયો અપલોડ કરતો હતો. 22 સપ્ટેમ્બરે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રીલ દ્વારા જણાવ્યું હતું કે તેણે નવી KTM બાઈક ખરીદી છે. 13 ઓક્ટોબરે તેણે એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેની બાઈકની સ્પીડ 140 કિમી પ્રતિકલાકથી પણ વધુ જોવા મળી હતી. તેણે પોતાની બાઈક પર 'મોન્સ્ટર' લખાવ્યું હતું, જે દર્શાવે છે કે તેને સ્પીડ અને જોખમનો કેટલો શોખ હતો. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઆ ઘટના આજના યુવાનો માટે એક ચેતવણી સમાન છે. સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના મોહમાં અને સ્પીડના થ્રિલમાં યુવાનો પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. હેલ્મેટ જેવી પ્રાથમિક સુરક્ષાને અવગણવી અને રસ્તા પર બેફામ ગતિએ વાહન ચલાવવું કેટલું મોંઘું પડી શકે છે, તે પ્રિન્સ પટેલની આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. 'લેલા' (બાઈક) રહી ગઈ, પણ તેનો 'મજનુ' (પ્રિન્સ) હવે આ દુનિયામાં નથી.
ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન માલણકા-તરસમીયા રોડ પરથી એક ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો એક વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી, કાર ચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનએથી મળતી માહિતી અનુસાર ભરતનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, માલણકા-તરસમીયા રોડ પરથી પસાર થઈ રહેલી GJ-33-B-5896 નંબરની એક ક્રેટા કારને શંકાના આધારે રોકીપોલીસે કારને રોકીને ચેક કરતાં, કારના ચાલકનું નામ હરપાલસિંહ નીતુભા જાડેજા ઉ.વ.24, રહે. મફતનગર, ધોધારોડ, ભાવનગર અને તેની બાજુમાં બેઠેલા ઇસમનું નામ ભાવેશ બાલાભાઇ સોલંકી ઉ.વ.25, રહે.પડવા ગામ, તા.ધોધા, જિ.ભાવનગર હોવાનું જાણવા મળ્યું હતું. તલાશી લેતા, કારની આગળની સીટ નીચેના ભાગેથી વિદેશી દારૂની એક કાચની બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ.1300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે ભાવેશ બાલાભાઇ સોલંકીને પૂછવામાં આવ્યું ત્યારે તેની જીભ થોથરાતી હતી,આ દારૂની બોટલ બાબુરાવ રહે.શીતળા માના મંદિર પાસે, ધોધારોડ, ભાવનગર પાસેથી લાવ્યાનું હરપાલસિંહે જણાવ્યું હતું. પોલીસે કાર કિંમત રૂ.5,00,000 અને દારૂની બોટલ કિંમત રૂ.1300 સહિત કુલ રૂ.5,01,300 નો મુદ્દામાલ ઝડપી લઈ કાયેસદરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હતો. ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પોલીસે વિવિધ જગ્યાએથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહનચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ લગાવ્યા વિનાની ગાડીઓ પર કાર્યવાહીમહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ વાહનોના કાળા કાચ અને નંબર પ્લેટ લગાવ્યા વિના જ ફરતા હોવાની બુમરાડ પ્રજાજનોમાં ઉઠી હતી. નબીરાઓની આ પ્રવૃત્તિને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા તે ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર નિયમનો ભંગ કરવા પૂરતી સીમિત ન રહેતા રસ્તામાં કે જાહેર સ્થળોએ સામાન્ય નાગરિકો પર રોફ જમાવવા કે જોખમી ડ્રાઈવિંગ કરી અન્ય વાહન ચાલકોની પજવણી કરવા સુધી પહોંચી હતી. નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યુંજોકે તાજેતરમાં આ અંગેની વિગતોનો અહેવાલ પ્રકાશિત થતા મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ગંભીરતા દાખવી હોય તેમ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં કાળા કાચ લગાવેલ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈ ફરતા નબીરાઓને પોલીસે પકડી પકડી કાર્યવાહી કરતા તેમનો રોફ ઉતારી કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયા અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ રોડ રસ્તાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન, મંત્રી સ્થાનિકોને વિકાસ કાર્યોમાં નબળી ગુણવત્તાવાળા કામો ન થાય તે માટે જાગૃત રહેવા અપીલ કરી રહ્યા છે. કુકાવાવના ખજુરી ગામેથી મંત્રીએ જણાવ્યું હતું કે, 'કોઈ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો અમારૂ ધ્યાન દોરો અને તમારા ગામમાં વિકાસના કામોની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવીને ધ્યાન રાખો..' 1.10 કરોડના ખર્ચે રોડના કામનો પ્રારંભમંત્રી કૌશિક વેકરીયાએ કુકાવાવ તાલુકાના ખજુરી ગામે સુવિધા પથ યોજના હેઠળ બે માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમાં પ્રાથમિક શાળાથી મેઘા પીપળીયા રોડ અને ખજુરી પ્રાથમિક શાળાથી રણુજા ધામ તરફના રસ્તાનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રીએ વિધિવત રીતે શ્રીફળ વધેરી કુલ રૂ. 1.10 કરોડના ખર્ચે આરસીસી રોડના કામનો પ્રારંભ કરાવ્યો હતો. 'વિકાસના કામો અંગે ચિંતા કરવાની જરૂર નથી'મંત્રી વેકરીયાએ વધુમાં જણાવ્યું કે, આ રસ્તાઓ ડબલ પટ્ટીવાળા બનશે અને વિકાસના કામો અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકાર ઉદાર હાથે વિકાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિકાસ કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા સૂચના આપી છે. જો કોઈ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો તે તુરંત તેમના ધ્યાને લાવવા અપીલ કરી હતી. પાંચ વ્યક્તિઓની ટીમ બનાવવાનું સૂચન કર્યુંતેમણે ગામલોકોને પાંચ વ્યક્તિઓની ટીમ બનાવવાનું સૂચન કર્યું હતું. આ ટીમે કામના એસ્ટીમેટ (અંદાજપત્ર) તપાસવા જોઈએ, જેમાં કપચી, સિમેન્ટ અને રેતીના પ્રમાણ જેવી વિગતોનો સમાવેશ થાય છે. આમ કરવાથી 100% ગુણવત્તાવાળા કામો સુનિશ્ચિત થશે. મંત્રીએ ભાર મૂક્યો કે વિકાસના કાર્યોમાં સારી ગુણવત્તા જાળવવા માટે સરકાર અને જનતાએ સાથે મળીને કામ કરવું પડશે.
ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ પર ભારે ટ્રાફિક જામથી બચવા યુ-ટર્ન લેવા માટે રસ્તો બદલવો અમદાવાદના એક નિવૃત્ત વૃદ્ધ માટે જીવલેણ સાબિત થયો છે. ગઈકાલે મધરાતે મહેસાણાથી બે ભાઈઓ સાથે કારમાં પરત ફરી રહેલા 70 વર્ષીય વૃદ્ધ આઈવા ટ્રકની ટક્કરે કમકમાટીભર્યું મોત થયું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મોટા ચિલોડા સર્કલ નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધને ટ્રકે કચડ્યાઅમદાવાદના બાપુનગર ખાતે રહેતા નટવરભાઇ ઇશ્વરદાસ પટેલ તેમના બે નાના ભાઈ લક્ષ્મણભાઈ (ઉ.વ.70) તથા પુરષોત્તમભાઈ સાથે ગઈકાલે બલેનો ફોરવ્હીલ ગાડી લઈને મહેસાણાના શંકરપુરા ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી સાંજના આશરે સાડા છ વાગે ઘરે અમદાવાદ પરત જવા નીકળ્યા હતા. એ વખતે ગાડી તેમના નાના ભાઈ પુરષોત્તમભાઈ ચલાવતા હતાં. દરમિયાન મોટા ચિલોડા સર્કલ પહોંચતા સર્કલ ઉપર નિત્યક્રમ મુજબ ભારે ટ્રાફીક જામ હતો. આથી અમદાવાદ જવા માટે પુરષોત્તમભાઈએ ગાડી હિંમતનગર તરફના રોડે મહુન્દ્રા બ્રીજથી યુ ટર્ન લીધો હતો. રોડ ક્રોસ કરી રહ્યા હતા ને આઈવા પૂરઝડપે આવીબાદમાં સામેના રોડે જતી વેળાએ પુરોહિત હોટલથી આગળ મેઇન હાઇવે ઉપર નવા બનેલ બ્રીજના છેડાએ કટ હોવાથી અન્ય વાહનો યુ ટર્ન લેતા હતા. જેથી પુરષોત્તમભાઈએ ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી. અને નટવરભાઇ અને લક્ષ્મણભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. ટ્રાફિક હોવાના લીધે ગાડી વળી નહીં શકતા બંને ભાઈઓ મહુન્દ્રા બ્રીજના નીચે તરફ જઈ રોડ ક્રોસ કરી રહ્યા હતાં. ટ્રકના ટાયર વૃદ્ધ પર ફરી વળ્યુંઆ દરમ્યાન હિંમતનગર તરફથી આવતી આઇવા ટ્રકના ચાલકે પોતાની આઇવા ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લક્ષ્મણભાઇને ટકકર મારતા તેઓ રોડ ઉપર પડી ગયા હતાં. એજ ઘડીએ ટ્રકના ટાયર લક્ષ્મણભાઈ ઉપરથી ફરી વળ્યા હતા અને તેનું નટવરભાઈની નજર સામે જ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટ્રકચાલક ટ્રક મૂકીને નાસી ગયોઆ અકસ્માત સર્જી આઇવા ટ્રક ચાલકે થોડે આગળ તેની આઇવા ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી. અને ટ્રક મૂકીને નાસી ગયો હતો. એવામાં આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતાં. આ બનાવની જાણ થતા ચિલોડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બાદમાં વોન્ટેડ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથા 7 ડિસેમ્બર સુધી ચાલશે. કથાનો શુભારંભ સામાજિક સમરસતાનો સંદેશ આપતા એક અનોખા કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. જેમાં 51 વાલ્મિકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાં પાડીને કથાનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ દીપ પ્રગટાવીને કથાનો વિધિવત શુભારંભ થયો. કથાકાર રમેશભાઈ ઓઝાના આગમન પૂર્વે મોટી સંખ્યામાં માતાઓ કળશ ધારણ કરીને અને ભાઈઓ તુલસી ક્યારો તથા ભગવી ઝંડીઓ સાથે સામૈયામાં જોડાયા હતા. ભાઈશ્રી દ્વારા કપિલા ગૌ માતાનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય દાતાઓ ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને આરતી કરવામાં આવી. આ વિધિ પૂર્ણ થયા બાદ કથાકાર રમેશભાઈ ઓઝાના સ્વમુખે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો સહિત ભાવિકો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે કથા સ્થળે 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. ઉપરાંત, જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ કથા દરમિયાન એક વિશેષ આકર્ષણ એ છે કે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે. કથા મંડપમાં રમેશભાઈ ઓઝાની બિલકુલ સામે કપિલા ગાય માટે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે. કપિલા ગાય સોનાના વરખ મઢેલા શિંગડા અને વિશેષ શણગાર સાથે સાત દિવસ સુધી કથા સાંભળશે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઝેરી દવા અને ડીઝલ ગટગટાવવાના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે, જેમાં એક 55 વર્ષીય આધેડનું મોત થયું છે. આ ઉપરાંત, ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોએ એક જ દિવસમાં છ લોકોને બચકાં ભર્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ગામે રહેતા ભરતભાઈ લાલાભાઈ ચૌહાણ (ઉં.વ. 55) એ પોતાના ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક બાલાસિનોર સી.આર.સી. સેન્ટર લઈ જવાયા હતા, જ્યાંથી તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અન્ય બનાવોમાં, ગોધરા તાલુકાના બખ્ખર ગામના અરવિંદભાઈ બળવંતસિંહ પટેલ (ઉં.વ. 25) એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. શહેરા તાલુકાના બોડીદ્રા ખુર્દ ગામના મહેશભાઈ લાલાભાઈ વણકરને પણ ઝેરી અસર થઈ હતી. ઘોઘંબા તાલુકાના મોગદરા મંદિર ફળિયા સિમલિયા ખાતે રહેતી તેજસ્વીબેન નરેશભાઈ બારીયા રમતા રમતા ડીઝલ પી ગયા હતા. આ ત્રણેયને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ, ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં છ નિર્દોષ નાગરિકોને શ્વાનોએ બચકાં ભર્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રજાજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને આવા હડકાયા શ્વાનોને તાત્કાલિક પકડીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
30 નવેમ્બરને રવિવારે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને રોમાંચક રીતે 17 રનથી હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો 351 સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તેણે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો માઈલસ્ટોન પોતાના નામે કર્યો છે. ત્યારે રોહિત શર્માના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતની મુલાકાત દરમિયાન દિનેશ લાડએ મીડિયા સાથેની વાતચીતમાં રોહિત શર્માી ક્રિકેટ કારકિર્દીથી લઈને નિવૃત્તિ સુધીની દરેક બાબત વિશે વાતચીત કરી હતી. આ સાથે જ રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ રિટાયર્ડ થશે તેમ પણ જણાવ્યું હતું. દિનેશ લાડ (રોહિત શર્માના કોચ) સાથે વાતચીત પ્રશ્નઃ રોહિત શર્માની ક્રિકેટિંગ કારકિર્દીને કેવી રીતે જુઓ છો?જવાબઃ હા, ચોક્કસપણે મેં રોહિત શર્માને કોચિંગ આપ્યું છે, પરંતુ રોહિત શર્મામાં ટેલેન્ટ હતું એટલે રોહિત શર્મા બન્યો છે, નહીં કે મારા થકી. તેને લઈને મારું માત્ર એક વિઝન હતું. જેમ કે, મેં તેને જોયો હતો ત્યારે તે 12 વર્ષનો હતો અને મેં તેને એક ઓફ-સ્પિન બોલર તરીકે જોયો હતો. પણ જ્યારે મેં તેનામાં બેટિંગની ક્ષમતા જોઈ, ત્યારે મેં તેને કહ્યું કે, તું બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર. કારણ કે, નાનપણમાં જ તેની ટેકનિક મને દેખાતી હતી. તો મેં તેને બેટિંગ પર વધુ ધ્યાન આપવા દીધું અને તેનામાં રહેલા ટેલેન્ટને કારણે તે જે મુકામ પર પહોંચ્યો છે, તે તમને પણ ખબર છે. ‘રોહિતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે તે પ્લેયર્સને સાથે લઈને ચાલે છે’જ્યાં સુધી તેની કેપ્ટનશીપની વાત છે, તો તે કેપ્ટનશીપ તો ખૂબ જ સરસ કરે છે. તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે તેના પ્લેયર્સને સાથે લઈને ચાલે છે. તેને ખબર છે કે, કયા ખેલાડી પાસેથી શું બહાર કાઢવું જોઈએ. તો ભલે કોઈ બોલર હોય, તો બોલરને કેવી રીતે પ્રોત્સાહિત કરવો, કે તું જ મારો મુખ્ય બોલર છે, તું જ સારી વિકેટ લઈ શકે છે. તો આ રીતે તેણે શરૂઆતથી જ કર્યું છે. સ્કૂલ ક્રિકેટમાં પણ જ્યારે તે મારી સ્કૂલમાં લીડ કરતો હતો, ત્યારે સમાનતા હતી. કારણ કે, મેં તેને વધારે કહ્યું નહોતું, તે પોતે જ નિર્ણય લેતો હતો. કોચ દિનેશ લાડએ સ્કૂલની મેચનું ઉદાહરણ આપ્યુંતમને એક સરળ ઉદાહરણ આપું, જ્યારે અમે સ્કૂલની મેચ રમી રહ્યા હતા અને અમે 240 રન ચેઝ કરી રહ્યા હતા, ત્યારે અમે 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે મેં તેને મેસેજ મોકલ્યો હતો કે, રોહિત, ગમે તે થાય, તો તેણે કહ્યું કે ના, ના, સરને કહેજો કે હું મેચ જીતી જઈશ. તેણે પોતાની મહેનતથી મેચ જીતીને આપી. સ્ટ્રોંગ શરૂઆતથી... શરૂઆતથી જ પોઝિટિવ રહે છે. એને ખબર હતી કે, મારી અંદર શું પોટેન્શિયલ છે, મારે શું કરવું જોઈએ. મારી ક્રિકેટને કેવી રીતે ન્યાય આપવો. તેણે પોતાની ક્રિકેટને સારી રીતે ન્યાય આપ્યો અને એક ટોપ લેવલનો ક્રિકેટર બની ગયો. પ્રશ્ન: અત્યારે જે વર્તમાનમાં ક્રિકેટ છે, એને તમે કઈ રીતે જુઓ છો?જવાબઃ જુઓ, વર્તમાન ક્રિકેટ તો સારી જ છે. ક્રિકેટ ખરાબ નથી. ક્રિકેટના કારણે આજે તો ક્રિકેટમાં ઘણા પૈસા પણ આવ્યા છે. એટલે તમે પ્રોફેશન (વ્યવસાય) તરીકે ક્રિકેટને જોઈ શકો છો, એવું નથી, પણ સદભાગ્યે તેમાં તમારી પાસે પ્રતિભા હોવી ખૂબ જ જરૂરી છે. જેમ કે, મેં કહ્યું કે રોહિત શર્માને મેં બનાવ્યો નથી, તેની પાસે પ્રતિભા હતી, તેણે પોતાની પ્રતિભાને ન્યાય આપીને એક સારો ક્રિકેટર બન્યો. તો હું દરેક ખેલાડીને એ કહેવા માંગુ છું કે તમે તમારી પ્રતિભાને ન્યાય આપો, ધ્યાન કેન્દ્રિત કરો, અનુશાસિત રહો તમારી પ્રતિભા પ્રત્યે તો જ તમે સારા ક્રિકેટર બની શકો છો. ‘આજના ક્રિકેટરની કહીશ કે તમે પાયાને મજબૂત કરો’આજકાલના બાળકો ટી-20 પર વધુ ધ્યાન આપી રહ્યા છે, ન કે પોતાના પાયાને મજબૂત કરી રહ્યા છે. તો હું એ જ કહીશ કે તમે પાયાને મજબૂત કરો. જો તમે પાયાને મજબૂત કરશો, તમારી પાસે પ્રતિભા હશે, તો તમે સારા લેવલના ક્રિકેટર બની શકો છો. તો આ જ હોવું જોઈએ. તમે એવું ન વિચારો કે માત્ર બેટિંગ કરીને ફટકારવું છે, પણ એ વિચાર હોવો જોઈએ કે હું વિકેટ પર કેવી રીતે બેટિંગ કરીશ, આ હોવું જોઈએ. પ્રશ્નઃ રોહિત શર્માને નિવૃત્તિ વિશે કોઈ સલાહ આપશો, 2027માં ODI નિવૃત્તિ લેશે?જવાબઃ સલાહ તો મેં આપી નથી, પણ મને પણ લાગે છે રોહિતને પોતે પણ લાગે છે કે રોહિતે પોતાના હાથમાં ટી-20 વર્લ્ડ કપ જોયો છે. 2011ના વર્લ્ડ કપમાં નહોતો. તેને લાગ્યું હતું કે તે સમયે તેનું સિલેક્શન નહોતું થયું. તે પછી તેણે ઘણી મહેનત કરી અને તે એક મુકામ પર પહોંચ્યો છે. તો એ ઇચ્છે છે કે, તેના હાથમાં વર્લ્ડ કપ, 50 ઓવરનો વર્લ્ડ કપ જુએ. તો 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ તે રિટાયરમેન્ટ લેશે. પ્રશ્નઃ કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં થવા જઈ રહી છે, ગુજરાતના અમદાવાદમાં થશે તો શું કહેવા માંગશો?જવાબઃ બહુ સારી વાત છે કે આપણા અહીં કોમનવેલ્થ ગેમ્સ થઈ રહી છે અને અમદાવાદમાં થવા જઈ રહી છે. આનો શ્રેય હું PM નરેન્દ્ર મોદીને આપીશ કેમ કે, શરૂઆતથી જ તેમના મગજમાં હતું સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું. તેમણે સ્લોગન પણ આપ્યું કે, ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. ‘કોમન વેલ્થ ગેમ્સનો શ્રેય હું PMને જ આપીશ’તેમનું એક જ કહેવું છે કે, આજકાલના બાળકો ખોટી જગ્યાએ ડાયવર્ટ થઈ રહ્યા છે. મોબાઇલમાં વધારે ધ્યાન આપી રહ્યા છે તો તેમનું એ જ કહેવું હતું કે બાળકો જેટલા ગ્રાઉન્ડ પર આવશે, તો એટલું તેમનું માઇન્ડસેટ અલગ થઈ જશે. તો બાળકો ટેલેન્ટને કારણે, બાળકો આગળ જઈને દેશનું નામ પણ રોશન કરશે અને પોતાનું નામ પણ રોશન કરશે. બહુ સારું છે કે, કોમનવેલ્થ ગેમ્સ દેશમાં થઈ રહી છે, તો હું ફરીથી એ જ કહેવા માંગીશ કે તેનો શ્રેય હું PMને જ આપીશ.
જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં કાલાવડ નાકા બહાર આવેલા એક જુનવાણી મકાનની છતનો હિસ્સો વહેલી સવારે લગભગ 3:45 વાગ્યે ધડાકાભેર ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં મકાનના નીચેના ભાગમાં રહેતા એક મહિલા સહિત બે વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઉપરના માળે રહેતા એક મહિલા અને બે બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે દબાયેલા લોકોમાં 58 વર્ષીય રજીયાબેન અબ્દુલભાઈ સાટી અને ૬૧ વર્ષીય હુસેનભાઈ મુસાભાઈ સાટીનો સમાવેશ થાય છે. કાટમાળ પડવાને કારણે બંનેને નાની-મોટી ઈજાઓ થઈ હતી. રજીયાબેનને કપાળ અને નાકના ભાગે ઈજા થતાં લોહી નીકળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, જયંતિ ડામોર, એપલ વારા સહિતની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. મકાનનો દરવાજો કાટમાળને કારણે ખુલી શકતો ન હોવાથી, બારી કાપીને સૌપ્રથમ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત રજીયાબેન અને હુસેનભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. હુસેનભાઈને પ્રાથમિક સારવાર અપાઈ હતી, જ્યારે રજીયાબેનની વધુ સારવાર ચાલી રહી છે. આ મકાનના પ્રથમ માળે 32 વર્ષીય શકીનાબેન અને તેમની બે નાની પુત્રીઓ, ત્રણ વર્ષની નાઈઝા અને ત્રણ મહિનાની એક બાળકી પણ રહેતી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ વચ્ચેથી ઉપરના માળે પહોંચીને આ ત્રણેયને બારીમાંથી એક પછી એક સુરક્ષિત રીતે નીચે ઉતારી બચાવી લીધા હતા. ઘટના બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો હતો અને એસ્ટેટ શાખા દ્વારા જર્જરિત મકાનના અન્ય હિસ્સાને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.
વલસાડ શહેરમાં સોમવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રવિવાર જેટલું જ રહ્યું હતું. જિલ્લાના ધરમપુર અને વાપી તાલુકામાં તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે. આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. વહેલી સવારે વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બન્યો હતો. શહેરના રસ્તાઓ પર લોકો ગરમ કપડાં જેવા કે સ્વેટર, જેકેટ અને શાલ પહેરીને જોવા મળ્યા હતા. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલું તાપમાન પારનેરા ડુંગર પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા ખેતીકાર્યોમાં વ્યસ્ત છે. ઠંડીની શરૂઆત થતાં ખેડૂતો આંબામાં આવનારી રોગ જીવાત પર નિયંત્રણ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગના મતે, રાત્રિનું તાપમાન 20 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે અને દિવસ દરમિયાન વલસાડ શહેરમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.
અમદાવાદના એસ. જી. હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા યુવકને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે. એસ.જી 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કથન ખરચર નામનો 21 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે. કથન YMCA પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કથન રોજની જેમ આજે(1 ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો. નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતા સવારે 6:30 વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેને લીધે કથન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા.પરિવારના યુવાન દીકરાનું મોત થતા પરી હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા સીસીટીવી ફુટેજમાં આધારે વધુ તપાસ શરૂ કરી છે. એસ.જી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર.વી વીછીએ જણાવ્યું હતું કે અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક નાસી ગયો છે.પોલીસ દ્વારા એસ.જી હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ.
ભરૂચમાં ઠંડી ઘટી:લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી, દિવસનું તાપમાન 32 ડિગ્રી, ભેજમાં ઘટાડો
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારોમાં ઠંડીનો થોડો અહેસાસ થતો હોવા છતાં દિવસ દરમિયાન તાપમાન સામાન્યથી થોડું વધુ રહેતું જોવા મળ્યું હતું. હવામાન વિભાગ મુજબ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં ઘટાડો થવાથી ભેજ 28 થી 59 ટકા વચ્ચે નોંધાઈ હતી જ્યારે પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ 21 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનમાં ઘટાડો થવાને કારણે ખેડૂતોને તેમની ખેતીમાં જરૂરી દવાઓના છંટકાવ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉપલબ્ધ રહેશે.
કચ્છનું કંડલા 10.4 ડિગ્રીએ રાજ્યનું સૌથી ઠંડુ મથક:નલિયા અને ભુજના તાપમાનમાં ફરી ઘટાડો નોંધાયો
પશ્ચિમી વિક્ષોભના કારણે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે કચ્છનું કંડલા 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું છે. ભુજમાં 16.8 ડિગ્રી અને નલિયામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાતા ફરી ઠંડક અનુભવાઈ રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે, અને ઠંડીમાં ભારે ચડાવ-ઉતાર અનુભવાઈ રહ્યો છે. ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીની અસર ઓછી થઈ હતી, પરંતુ આજે ફરી તાપમાન ઘટ્યું છે. જિલ્લા મથક ભુજ અને માકપટ સહિતના વિસ્તારોમાં ધૂંધળા વાતાવરણ વચ્ચે સૂર્યપ્રકાશ નબળો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ એકાદ દિવસ ધૂંધળું વાતાવરણ રહી શકે છે. લઘુતમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનો ચમકારો ફરી એકવાર પોતાની પકડ જમાવી શકે છે.
મોરબી નજીક ડીઝલ ટેન્કરમાં ભીષણ આગ:હાઈવે પર નાસભાગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
મોરબી-માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક રવિવારે રાત્રિના સમયે ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગને કારણે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં GJ 36 T 3329 નંબરનું ડીઝલ ભરેલું ટેન્કર મોરબી-માળિયા હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અગમ્ય કારણોસર ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ટેન્કરમાં લાગેલી વિકરાળ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો. આગની ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. જોકે, આ બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી કે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, જે એક રાહતની વાત છે.
અમદાવાદના વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો હતો.આ ઘટનામાં ચિરાગ મુંધવા નામનો ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના પાનના પાર્લરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.વાડજ પોલીસે સમગ્ર મામલે ચાર શખસો સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે બબાલ કરીવાડજના વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલા લાલશોટ પાન પાર્લરમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હાજર એક ગ્રાહક સાથે બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આ અસામાજિક તત્વોએ પાન પાર્લરમાં આતંક મચાવીને તોડફોડ શરૂ કરી દીધી હતી. માથામાં કાચની બોટલ મારતા ગ્રાહક ઈજાગ્રસ્તઅસામાજિક તત્વોએ પાન પાર્લરના ફ્રીજના કાચ તોડી નાખ્યા હતા. હુમલા દરમિયાન આ ચિરાગ મુંધવા નામના ગ્રાહકને કાચની બોટલ માથામાં મારતા તે ઘાયલ થયો હતો.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પાન પાર્લરના માલિકે ફરિયાદ નોંધાવીપાન પાર્લરમાં થયેલી આ ગુંડાગીરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પાન પાર્લરના માલિકે આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ચાર અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની ઘેરી અસર વર્તાઈ રહી છે. વૈશ્વિક માંગમાં અચાનક ઘટાડો થવાને કારણે, ખાસ કરીને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં આશરે 10 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડાની સીધી અને ગંભીર અસર નાની સાઇઝના હીરા પર કામ કરતા લાખો કારીગરોની કામગીરી અને તેમના રોજગાર પર પડવાની શક્યતા છે. લેબ-ગ્રોન ડાયમંડનો વધતો દબદબોહીરા ઉદ્યોગમાં મંદીનું એક મુખ્ય કારણ લેબ-ગ્રોન ડાયમંડ (LGD)નો વધતો દબદબો છે. LGD, નેચરલ હીરા કરતાં 70%થી 80% જેટલા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો મોટા પ્રમાણમાં લેબગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે નેચરલ ડાયમંડની માગ ઘટી છે અને અમેરિકા તેમજ યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં ચાલી રહેલી મંદીના કારણે સ્ટોકમાં પણ વધારો થયો છે. ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિડી-બિયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસરૂપે અગાઉ રફ હીરાના ભાવમાં 10%થી 15% સુધીનો ઘટાડો કર્યો હતો, પરંતુ આ ઘટાડા છતાં તૈયાર હીરાના ઓછા ભાવ મળવાથી ઊંચા ભાવે રફની ખરીદી કરનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે. પરિણામે, વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે. બીજી તરફ, સુરતની અનેક મોટી ફેક્ટરીઓ હવે નેચરલની સાથે-સાથે લેબ-ગ્રોન ડાયમંડ પર પણ કામ કરવા તરફ વળી છે. ભાવની અસર સીધી રત્નકલાકારોની મજૂરી પર થશેઃ ભાવેશ ટાંકડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકએ આ પરિસ્થિતિ પર ગહન ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે, તેની સામે વેપારીઓ તૈયાર પતલી સાઇઝના રિયલ ડાયમંડની અંદર ભાવ તોડીને માંગે છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. રત્નકલાકારોને એની સીધી અસર તેમની મજૂરી પર થવાની શક્યતા છે. ભાવેશ ટાંકનું માનવું છે કે, જો રિયલ ડાયમંડમાં ગ્રોથ નહીં દેખાય તો ‘હીરા હમેશા કે લિયે'નું સ્લોગન ધરાવતો રિયલ ડાયમંડ આવનારા સમયમાં એક સપનું બનીને રહી જશે. ‘સરકારે લેબગ્રોન અને રિયલ ડાયમંડની માર્કેટ અલગ કરવી જોઈએ’તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ અલગ-અલગ કરવી જોઈએ અને બંને માટે એક સારી પોલિસી બનાવવી જોઈએ. સુરતનું નામ રિયલ ડાયમંડથી જ 'ડાયમંડ સિટી' તરીકે ઉપર આવ્યું છે, તેથી જમીનથી જોડાયેલા લાખો રત્નકલાકારોના હિતમાં રિયલ ડાયમંડને બચાવવો એ આપણી સૌથી મોટી જવાબદારી છે. કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે, જેના કારણે પણ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. હાલની સ્થિતિ જોતાં, સરકાર અને ઉદ્યોગકારો બંને તરફથી તાત્કાલિક અને નક્કર પગલાં લેવાય તે જરૂરી છે, જેથી લાખો કારીગરોની રોજીરોટી અને ડાયમંડ સિટી સુરતની પ્રતિષ્ઠા બંનેને બચાવી શકાય.
આજે રાજ્યમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા સૌથી વધુ ઠંડુ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે, તો કેટલાંક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયમાં ગરમી અનુભવાઈ રહી છે. સતત ઠંડુ રહેતું શહેર નલિયામાં ગઈકાલે 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં છેલ્લા બે દિવસથી સતત એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાનઅમદાવાદમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરા 16.6 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગર 18 ડિગ્રી સેલ્સિયસ, ભુજ 16.8 ડિગ્રી સેલ્સિયસ, દમણ 20.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસા 17.5 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 21 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 22.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 18 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.1 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 19.7 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માંગતો હોય તો બાંધકામ સાઈટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઈટ પરથી મેળવવી પડે છે. મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનાર નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે તેના માટે હવે ફરજિયાત દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે. જો કોઈપણ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આજે 1 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા RERAનો હુકમકોઇપણ પ્રોજેક્ટના એલોટી કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધી માહિતી રેરાની વેબસાઈટ પર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજીસ્ટ્રેશન નંબર મારફતે ઉપલબ્ધ થાય છે. નાગરિકો આ કાર્યપદ્ધતિથી અજાણ હોય છે અને પરિણામે તેઓને ચોક્કસ માહિતી મળી શકતી નથી. જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો, જેવી કે, રેરા રજીસ્ટ્રેશનની વિગતો, પ્રોજેક્ટના બાંધકામની વિગતો. પ્રોજેક્ટના સ્પેસીફીકેશન, એમેનીટીઝની વિગતો, રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો તથા પ્રોજેક્ટ લોનની વિગતો પ્રોજેક્ટના સ્થળે જ સહેલાઇથી ઊપલબ્ધ થાય તેના માટે પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા RERA દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઇ 1.20મી. લઘુત્તમ ઉંચાઈ 2 મી. રાખવાની રહેશેરાજયમાં રેરા રજિસ્ટર્ડ તમામ કાર્યરત પ્રોજેક્ટ માટે, ધ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (જનરલ) રેગ્યુલેશન્સ 2017ના રેગ્યુલેશન-5માં દર્શાવેલા દસ્તાવેજો જેવા કે જવાબદાર તંત્ર પાસે મંજૂર કરાવવામાં આવેલા પ્લાન અને તેનો લેઆઉટ સહિતની વિગતો બોર્ડ અથવા બેનર તેમજ ડિસ્પ્લે મારફતે પ્રોજેક્ટના સાઈડ પર લગાવવાની રહેશે. બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઇ 1.20મી. તથા લઘુત્તમ ઉંચાઈ 2 મી. રાખવાની રહેશે. પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઇ શકાય તે રીતે, જમીનથી 1.50મી. થી 2 મી. ઉંચાઇએ મુકવાનું રહેશે. પ્રોજેક્ટના રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાના રહેશેવોટરપ્રૂફ મટીરીયલના રાખવાના રહેશે અને તેનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું રાખવાનું રહેશે. બેનરમાં દર્શાવેલી વિગતોના અક્ષરની લઘુત્તમ ઉંચાઈ 2.50 સે.મી. રાખવાની રહેશે અને અક્ષરના રંગ નમૂનામાં દર્શાવ્યા અનુસાર જ રાખવાના રહેશે. રેરા રજીસ્ટ્રેશન નંબર તથા પ્રોજેક્ટના રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાના રહેશે. QR કોડ લઘુત્તમ 15 સે.મી. X 15 સે.મી. નો તથા મોબાઇલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય તેવી રીતે સ્પષ્ટ દર્શાવવાનો રહેશે. દર 3 મહિને રિપોર્ટ અપલોડ કરવાનો રહેશેપ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ / બેનર/ હોર્ડીંગ / ડીજીટલ ડીસ્પ્લેનો ફોટોગ્રાફ, આ હુકમ પ્રસિદ્ધ થયા બાદ, ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (OPR) માં, અચૂક રજૂ (Upload) કરવાનો રહેશે. આ ફોટોગ્રાફ જિયો ટેગ વાળો ફોટો હોવો જરૂરી છે અને ફોટોગ્રાફમાં Latitude અને Longitude દર્શાવેલ હોવા જરૂરી છે. આ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જનાર ડેવલોપર કે બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે. જે પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એન્ડ કમ્પલાયન્સ (QE) રેરા ઓથોરીટીની વેબસાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવેલુ છે અને જેનું વેરીફીકેશન થઇ ચૂકેલ છે. તેવા પ્રોજેક્ટ માટે ઉપર દર્શાવ્યા મુજબ બોર્ડ / બેનર/હોડીંગ / ડીજીટલ ડીસ્પ્લે પ્રસિદ્ધ કરવાની જરૂરત રહેશે નહીં.
વાપી પોલીસે 15 વર્ષીય સગીરને 4 કલાકમાં શોધ્યો:'મિશન મિલાપ' હેઠળ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
વાપી પોલીસે 'મિશન મિલાપ' અંતર્ગત એક 15 વર્ષીય સગીરને ગુમ થયાના માત્ર ચાર કલાકમાં શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને DySP વાપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી હતી. ચલા વિસ્તારમાં રહેતા એક પરિવારનો 15 વર્ષીય પુત્ર 30 નવેમ્બર 2025ના રોજ સવારે 8:30 કલાકે ઘરેથી ગુમ થયો હતો. પરિવારે તેની શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળતા તાત્કાલિક વાપી ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. વાપી ટાઉન પી.આઈ. મયુર પટેલના નેતૃત્વ હેઠળ પી.એસ.આઈ. વી.એ. સોલંકી અને સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી. ટીમે ગુમ થયેલા સગીરના ફોટા બતાવી પૂછપરછ કરી, સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. પ્રાથમિક તપાસમાં સગીર રેલવે સ્ટેશન તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ટેકનિકલ એનાલિસિસ દ્વારા બાળક મુંબઈ તરફ ગયો હોવાનો અંદાજ લગાવીને વિવિધ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે સઘન પ્રયાસો કરીને ફક્ત ચાર કલાકની અંદર પાલઘર ખાતેથી સગીરને સુરક્ષિત શોધી કાઢ્યો. ત્યારબાદ તેને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહી બદલ પરિવારે વાપી ટાઉન પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર નજીક ખારવેલ પાસે કૂતરાના કારણે થયેલા માર્ગ અકસ્માતમાં એક બુલેટ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ધરમપુરના રામવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય મિત પટેલનું રવિવારે નિધન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મિત પટેલ રોણવેલથી ધરમપુર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આશરે રાત્રે પોણા નવ કલાકે તેઓ ખારવેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતું કૂતરું તેમની બુલેટ સામે આવી ગયું હતું. કૂતરા સાથે અથડાતા બુલેટ સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મિત પટેલ રોડ નજીક આવેલા વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘાયલ મિત પટેલને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ માથામાં થયેલી ગંભીર ઇજાઓને કારણે મિત પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. ધરમપુર પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત પટેલના નિધનથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રખડતા કૂતરાઓના કારણે વધતા જતા માર્ગ અકસ્માતો સામે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ રખડતા કૂતરાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ 10 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં 5.18 લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.4.82 લાખ પરત મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. મહિલાએ કોટક સિક્યોરિટીઝના નામની જાહેરાત જોઈ હતી ગાંધીનગર કુડાસણ પ્રમુખ હોમ્સ ખાતે હાલમાં પોતાની દીકરી સાથે રહેતા અને એમ.કે. પી.જી.ના સંચાલક રક્ષાબેન મધુકાંતભાઈ ભટ્ટ આશરે સવા વર્ષ પહેલા D-304, શ્રીનાથ હોમ્સ ખાતે રહેતા હતા, ત્યારે તેમણે ફેસબુક પર શેરમાર્કેટમાં રોકાણ કરવા માટેની કોટક સિક્યોરિટીઝના નામની જાહેરાત જોઈ હતી. બાદમાં રક્ષાબેને રોકાણ કરવામાં રસ હોવાથી જાહેરાત નીચેની વ્હોટ્સએપ ગ્રુપ જોઈન કરવાની લિંક પર ક્લિક કર્યું હતું. આ ગ્રુપનું નામ IGP777/KOTAK-Stok market analysis, sharing and guidance હતું. આ ગ્રુપમાં થતી એક્ટિવિટીનું બે મહિના સુધી નિરીક્ષણ કર્યા બાદ 7 નવેમ્બર, 2024ના રોજ તેમને એક મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. સૌપ્રથમ 30 હજાર અને તબક્કાવાર 10 લાખનું રોકાણ કર્યુંકોલ કરનાર ઈસમે રક્ષાબેનને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી એક લિંક મોકલી. જે લિંક પર ક્લિક કરતા જ kotak neo નામના સિમ્બોલવાળી એપ્લિકેશન ઓપન થઈ હતી. જેમાં રક્ષાબેને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બર, 2024ના રોજ રક્ષાબેને સૌપ્રથમ 30 હજાર રોક્યા હતા. આમ શેર બજારમાં રોકાણનો સિલસિલો શરૂ થયો હતો. બાદમાં તેમને ભારતી લેંગવાલ નામની વ્યક્તિના વ્હોટ્સએપ કોલ આવતા તેમણે 60 હજારનું વધુ રોકાણ કર્યું હતું. 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અલગ-અલગ બેંક ખાતાઓમાં રક્ષાબેને તબક્કાવાર કુલ 10 લાખ જમા કરાવી દીધા હતા. પૈસા વિડ્રોવ કરતા કમિશન જમા કરવા કહ્યુંજોકે, મોટી રકમ મળતા જ સાયબર ઠગોએ તેમને વ્હોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં રક્ષાબેને પૈસા વિડ્રો કરવાની પ્રોસેસ કરતા જણાવાયું હતું કે, રૂ.5,48,331 કમિશન પેટે જમા કરાવો પછાત જ રકમ વિડ્રો થઈ શકશે. આ જાણીને રક્ષાબેનને પોતાની સાથે ઠગાઈ થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે તેમની દીકરીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1938 પર જાણ કરી હતી. પોલીસે 5.18 લાખ ફરિયાદીને પરત અપાવ્યાંઆ મામલાની ગંભીરતા જોઈને સાયબર પોલીસે જે.જે. એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એની વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેના પગલે રૂ.2,49,712. હોલ્ડ થઈ ગયા હતા અને વધુ તપાસ દરમ્યાન વધુ ત્રણ લાખ પરત મળતા કુલ રૂ.5.18 લાખ રક્ષાબેનને પરત મળી ગયા હતા. જોકે, બાકીના 4.82 લાખ આજદિન સુધી પરત નહીં મળતા રક્ષાબેને સમગ્ર સાયબર ફ્રોડ મામલે ફરિયાદ નોંધાવી છે.
કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગાંધીધામથી મોરબી તરફ જતું એક LPG ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આ આગ ટેન્કરમાં ફેલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટેલમાં પાર્ક થયેલા 7 જેટલા વાહનોમાં પણ આગ ફેલાઈ ગઇ હતી. જ્યારે 10થી 12 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં ટેન્કરન ચાલકનું મોત થયું હોવાની આશંકા છે. ટેન્કરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયોઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામથી LPG ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલુ ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં એમાં આગ લાગી ગઇ હતી. થોડીવાર બાદ ટેન્કરમાં અચનાક ધકાડા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે, જેના મોતની આશંકા સેવાઇ રહી છે. 10થી 12 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામઆ ઉપરાંત ધડાકાના કારણે હાઇવેની નજીકમાં આવેલી એક હોટેલના પાર્કિગમાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોમાં પણ આગ ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાના હાઇવે પર લગભગ 10થી 12 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. જ્યારે બે ત્રણ કિ.મી દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવાયોભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાયટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે 8 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે હાઇવે પેટ્રોલીંગ ટીમ અને સામખિયાળી પોલીસ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરી રહી છે. અમે આગળની તપાસ કરી રહ્યા છીએ: PIઆ અંગે સામખિયાળી પીઆઇ વીકે ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આજે પરોઢે લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં બની હતી. એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને 15થી 20 મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટેલમાં પાર્ક કરેલા 6-7 જેટલા ભારે વાહનોમાં ઉડતા તેમાં પણ આગ ફેલાઈ જવા પામી હતી. અમે હાલ આગળની તપાસ કરી રહ્યા છીએ.
સેવાકાર્ય:વાંકાનેર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઠંડીથી રક્ષવા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ
વાંકાનેર શિયાળાની શરૂઆત થતા જ શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ ગરીબો તથા જરૂરિયાતમંદોને ઠંડીમાં હુફ પૂરી પાડવા ગરમ ધાબળા વિતરણ કરવા માટે દાતાઓના સહયોગથી ધાબળા ખરીદી વિતરણ માટે મુખ્ય દાતા અને કાર્યક્રમના અધ્યક્ષ શૈલેષભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને આયોજન માટે કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના સેવાકાર્ય પ્રસંગે ગઢિયા હનુમાનજી મિત્ર મંડળના ઉપક્રમે ભાટિયા સોસાયટી સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં કાર્યકર્તાઓને શ્રેષ્ઠીઓનાં હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ , વેલનાથ મંડળ , ભારત વિકાસ યાત્રા , અખંડ ભારત વિધાર્થી પરિષદ સહિત અનેક સેવા સંતાન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેર તથા તાલુકામાં થતા ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં દાનની સરવાણી વહાવતા શૈલેષભાઈની ધાર્મિક તેમજ પરોપકાર પ્રવૃતિઓને ઉપસ્થિત અગ્રણીઓ તથા સંસ્થાના પ્રતિનિધિઓએ બિરદાવી હતી. સાથે જ સામાજિક કાર્યોમાં હરહંમેશ સહકાર આપતા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા અને ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણાનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. રાજકીય રીતે કદાવર નેતા તરીકે ઓળખાતા શૈલેષભાઈ ઠક્કર ધર્મકાર્યને કારણે વાંકાનેર તથા પંથકમાં વિશેષ આગવી ઓળખ ઊભી કરી છે. આ સેવા પ્રસંગે સેવા કાર્યોને બિરદાવતા શૈલેષ ઠક્કરે જણાવ્યું હતું કે આર્થિક સહયોગ કરતા સ્થળ પર જઈ ગરીબો તથા જરૂરિયાતમંદોને શિયાળામાં હૂફ આપવા જવું તે ખૂબ કઠિન કાર્ય છે જે બદલ તમામ સેવા આપતા યુવકોને અભિનંદન પાઠવ્યા હતા.
મેડિકલ કેમ્પનું આયોજન:મોરબીમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનો 300થી વધુ લોકોએ લાભ લીધો
મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા આજે કન્યા છાત્રાલય ખાતે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં અલગ અલગ નિષ્ણાત તબીબો દ્વારા 300થી વધુ લોકોના આરોગ્યની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં લગભગ સાત ડોક્ટરોએ સેવા આપી હતી. ડોક્ટરોની ટીમે તમામ દર્દીઓને વ્યવસ્થિત મેડિકલ ચેકઅપ અને રિપોર્ટ પ્રદાન કર્યા હતા. આ તકે ગ્રુપના સભ્ય કાજલબેન આદરોજાએ જણાવ્યું હતું કે, તેમનું મહિલા ગ્રુપ સમાજના સાવર્ગી વિકાસ માટે હર હંમેશ પ્રયત્નશીલ છે અને લોકોની સેવા માટે આ ગ્રુપ અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. તેમજ ખાસ તો દરેક ક્ષેત્રેમાં મહિલાઓ આગળ વધી નારી અબળા નહિ પણ એક દેવી શક્તિનો અવતાર અને ગૃહલક્ષ્મી હોય તેનું સન્માન સમાજ કરે તેવા પ્રયાસો કરાય છે. સાથેસાથે સમાજને તંદુરસ્ત રાખવો જરૂરી હોવાથી આ કાર્ય કરવામાં આવ્યું હતું.
મંડે પોઝિટીવ:મચ્છુ નદી પર લીલાપરથી ભડિયાદ ગામને જોડતો રૂ.156 કરોડના ખર્ચે કેબલ સ્ટેઇડ બ્રિજ બનશે
કિશન પરમાર |મોરબી મોરબી શહેરમાં સતત વધી રહેલું ટ્રાફિક ભારણ લોકો માટે માથાના દુઃખાવા સમાન છે સવાર પડતા મોરબી વાસીઓ કામ ધંધા પર જાય એટલે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકજામમાંથી નીકળવાની છે કારણ કે મોરબી શહેરમાંથી સિરામિક એકમમાં આવવા જવા માટે સૌથી વધુ ભારણ પાડા પુલ પર રહે છે તેમાં પણ દર અડધી કલાકે બંધ થતી ફાટક પડ્યા પર પાટું મારે તેવી સ્થિતિ કરે છે મોરબી શહેરમાં મચ્છુ નદીમાં વધુ એક બ્રિજ નિર્માણ કરવાની વર્ષો જૂની માંગણી છે અગાઉ નગરપાલિકા વખતે પણ લીલાપર ગૌ શાળાથી ભડિયાદ ગામને જોડતા રોડ પર બ્રિજ નિર્માણ માટે અનેક વખત બજેટમાં દરખાસ્ત મુકવામાં આવી હતી જોકે આ બ્રિજ માત્ર નગર પાલિકાના બજેટમાં જ જોવા મળ્યો હતો જમીની હકીકત અલગ હતી હવે મહાનગરપાલિકા બન્યા બાદ ફરી એકવાર લીલાપરથી ભડિયાદને જોડતો મચ્છુ નદી પર બ્રિજ નિર્માણ કરવા તૈયારી તેજ કરી છે. મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શનમાં મહાનગર પાલિકા દ્વારા રૂ 156.67 કરોડના ખર્ચે 360 મીટર લાંબાની ફોર લેન કેબલ સ્ટેડ બ્રિજ નિર્માણ માટે ગુજરાત ફાયનાન્સીયલ બોર્ડના ડીપીઆર તૈયાર કરીને મોકલ્યો હતો જે બાબતે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના પ્રયાસથી આ બ્રિજ નિર્માણ માટે ના ડીપી આર ને મંજૂરી આપવામાં આવી છે હવે આ માટે આગામી દિવસોમાં બાકી જરૂરી પ્રકિયા હાથ ધરવામાં આવશે. પાડા પુલ ની અપસ્ટ્રીમમાં તૈયાર થનારા આ કેબલ સ્ટે બ્રિજ મુખ્ય રૂપે બે ભાગમાં વિભાજિત થશે જેમાં એક કેબલ સ્ટે પોર્શન જયારે બીજો એપ્રોચ પોર્શનમાં બનશે. આ બ્રીજનું નિર્માણ થતા લીલાપર રવાપર તેમજ જેલ રોડ વિસ્તાર સામા કાંઠે ભડિયાદ નઝરબાગ, સો ઓરડી વિસ્તારના લોકોને શહેરના બન્ને વિસ્તારમાં આવન જાવન માટે વધુ એક વિકલ્પ મળશે જેના કારણે ભવિષ્યમાં આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાથી મોટી રાહત થવાની શક્યતા છે. પાંચમો કેબલ સ્ટેઇડ બ્રિજ બનશેહાલ કેબલ સ્ટે બ્રિજ ખર્ચાળ, ટેકનીકલ રીતે નિર્માણ પડકાર જનક હોવાથી ઓખા ખાતેનો સુદર્શન સેતુ, વડોદરામાં ડો બાબા સાહેબ આંબેડકર બ્રિજ, અમદાવાદ જિલ્લામાં તપોવન કોબા બ્રિજ, સુરતમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય બ્રિજ, ભરૂચમાં આવેલ સરદાર બ્રીજનો સમાવેશ થાય છે. ફાઇનાન્સ બોર્ડની મંજૂરી બાદ હવે શું ?ફાયનાન્સીયલ બોર્ડની મંજૂરી મળ્યા બાદ બ્રિજની નક્કી થયેલી ડીઝાઈન ફાઈનલાઈઝ માટે જરૂરી સર્વે કરાશે, સરવેમાં જો કોઈ તૃટી રહી હોય તો ફાઈનલ એસ્ટિમેટ બનશે, એસ્ટિમેટ તૈયાર થશે જે બાદ તેને ફરી ફાયનાન્સ બોર્ડમાં મંજૂરી માટે મોકલાશે, ફાઇનલ મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે, ટેન્ડર પ્રકિયા આગળની કાર્યવાહી હાથ ધરાશે, આ તમામ પ્રકિયા પૂર્ણ થતા ઓછામાં ઓછો 6 મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા છે. આ બ્રિજની શું વિશેષતા રહેશેઅ બ્રિજ મુખ્ય ત્વે બે ભાગમાં છે જેમાં એક ભાગ એટલે કેબલ સ્ટેઇડ પોર્શન જેમાં 90 મીટર 180 મીટર, 90 મીટર એમ ત્રણ સ્પાનમાં વિભાજિત હશે, માર્ગની કુલ પહોળાઈ 22.7 મીટર હશે જારે વાહનોની અવર જવર ને ધ્યાનમાં રાખી પહોળાઈ 8.5 મીટર રહેશે જે ફોર લેન હશે તો વાહન ચાલકોની સેફટીને ધ્યાને લઇ અડધા મીટરનો કર્વ સાઈનેસ આપવામાં આવશે. ભવિષ્યમાં નદીના જળ સ્તર-વધારાની શક્યતાને ધ્યાને રાખી તેની ઉંચાઇ 45 મીટર રહેશે તો પાયાની મજબૂતી માટે 1800 મીમી વ્યાસનાં સ્પાઇલ ફાઉન્ડેશનની ઉપયોગ કરશે એપ્રોચ પોર્શની સ્થિતિ જોઈએ તો તેની લંબાઈ ૧૨૦ મીટર રહેશે બન્ને સાઈડ 40 મીટરના એપ્રોચ કામ આવશે બ્રિજની કુલ પહોળાઈ 22.7 મીટર રહેશે જેમાં વાહન આવન જાવનની પહોળાઈ 8.5 મીટર રહેશે.
થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે હાલના સમયે સીજીએસટીના ચેકિંગને બહાને આવતા અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો તોબા પોકારી ઊઠ્યા છે. આ પ્રશ્નના હલ માટે રવિવારે થાનમાં પાંચાલ સિરામિક એસોસીએસનની બેઠક બોલાવાઈ હતી. જેમાં 200થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. કનડગત બંધ નહીં કરાય તો દિલ્હી સુધી રજૂઆત કરીને લડી લેવાની તૈયારીઓ કરી હતી. આ બેઠકમાં પાંચાળ સિરામિક એસોસિએસનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરાએ જણાવ્યું કે આપણું ઉદ્યોગ તે લઘુ ઉદ્યોગમાં આવે છે જેના માટે આપણે આગળ જતા જીએસટીનો દર કેમ ઓછો થાય અને આપણને બીજા ધંધાકીય લાભ કેમ મળે તે માટે ખાસ મહેનત કરવાની રહેશે. પાંચાલ સિરામિક એસો.ના ઉપ પ્રમુખ શાંતીલાલ પટેલ, વિજયભાઇ ભગત, લઘુઉદ્યોગ ભારતી પ્રદેશ મંત્રી સંજયભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાસ્કર ઇનસાઇડછેલ્લાં એક મહિનામાં રૂ.1.35 કરોડનો તોડ થયોથાન સિરામીક ઉદ્યોગમાં એવું કહેવામાં આવે છે કે સીજીએસના ચેકિંગના બહાને આવેલા અધિકારીઓએ જુદા જુદા કારખાનામાં નાના મોટા ફોલ્ટ બતાવીને અલગ અલગ રકમના તોડ કર્યા હતા. 4થી 5 કારખાનામાં મળીને કુલ રૂ.1.35 કરોડના તોડ થયાનું કહેવામાં આવે છે. આ બાબતે તપાસ થાય તો સાચી વિગતો બહાર આવે. ભાસ્કર એક્સપર્ટચેકિંગ માટે આવે તેના આઇકાર્ડ માંગો કોઇ ચેકિંગ માટે આવે ત્યારે સૌ પ્રથમ અધિકારીઓના આઇકાર્ડ માંગવા જોઇએ. કઇ બાબતે નોટિસ છે તેની તપાસ કરવી. રેડ પહેલા જોઇન્ટ કમિશનરની પરવાનગી લેવાની હોય છે તે છે કે નહીં તે પણ જોવું જોઇએ. > વસરામભાઇ ચીખલીયા, રિટાયર્ડ વેટ વિભાગના અધિકારી
સલામત સવારી જોખમી બની:કડુ પાસે એસટી બસનું ટાયર ફાટ્યું, 60 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
સલામત સવારે એસટી હમારી તેવું સૂત્ર એસટી તંત્ર દ્રારા આપવામાં આવે છે. પરંતુ છાશવારે ખોટકાતી બસોને કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાતા હોય છે તે વાત સામાન્ય બની ગઇ છે. આવા સમયે સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી એસટી બસનું કડુ પાસે ટાયર ફાટતા બેઠેલા 60 મુસાફરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા સવારના 9 વાગે સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની બસ દોડાવવામાં આવે છે. 11 વાગ્યાની આજુ બાજુ આ બસ અમદાવાદ પહોચાડી દેતી હોય છે. જેને કારણે લોકો સમયસર પોતાના કામો પૂરા કરી શકે છે. આથી જ આ બસમાં કાયમી ધોરણે મુસાફરો ફુલ હોય છે. રવિવારે પણ આ બસ તેના નિયત સમયે બસ સ્ટેશનથી ઉપડી હતી. ત્યારે લખતરના કડુ પાસે પહોંચતા અચાનક બસનું ટાયર ફાટી ગયું હતું. જોરદાર ધડાકા સાથે રોડ પરની ધૂળ ઉડતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસને બાજુમાં લીધી હતી. જોકે બસમાં બેઠેલા તમામ 60 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો બસ પલટીને ખાળીયામાં પડી હોત તો મોટી દુર્ધટના સર્જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. ભાસ્કર ફર્સ્ટ પર્સન2 દિવસ પહેલાં અમે સારી બસ ફાળવવા માંગ કરી હતીઅમે આ બસમાં નિયમિત મુસાફરી કરીએ છીએ. અમદાવાદ જવા માટે સવારની આ બસ અનેક લોકોને ખૂબ અનુકૂળ રહે છે. આથી પેસેન્જરો પણ ખૂબ હોય છે. પરંતુ બસની હાલત ખરાબ છે. આથી 2 દિવસ પહેલાં જ અમે નવી અને સારી બસ ફાળવવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે આજે અચાનક ટાયર ફાટ્યું છે જેમાં અમારા જીવ બચી ગયા છે. > પ્રવિણસિંહ, મુસાફર
ભાસ્કર ઇમ્પેક્ટ:લખતરની શ્રીનાથજી સોસાયટીને હાઇવે સાથે જોડતું નાળુ નવું બનાવવાની શરૂઆત
લખતરમાં શ્રીનાથજી સોસાયટી સ્ટેટ હાઈવેને અડીને આવેલી છે. આ સોસાયટીમાંથી શહેરના ભૈરવપરા તેમજ મફતિયા પરામાં જવાનો રસ્તો પણ પસાર થાય છે. પરંતુ સ્ટેટ હાઇવે ઉપરથી આ સોસાયટીમાં જવાના રસ્તે જ મોટું વિઘ્ન હોય તેવો ઘાટ છે. જ્યાં આવેલ નાળુ જર્જરીત હોવાથી અને મંજૂર થયેલ હોવા છતાં કામગીરી થતી ન હતી. પરંતુ અહેવાલો બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. લખતરની શ્રીનાથજી સોસાયટીમાં જવા સ્ટેટ હાઈવેને અડીને એક નાળુ આવેલું છે. આ નાળુ પ્રોટેક્શન વોલ વગરનું છે. જે અંગેના અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ આ નાળાનું કામ બે વર્ષ પહેલા એટલે 2023- 24માં મંજૂર થઈ ગયું છે. પરંતુ આજદિન સુધી કામ ખોરંભે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આ જગ્યાએ કોઈ કામગીરી થઈ નથી. તેવામાં તા.26 નવેમ્બરના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેથી તંત્ર સફાળુ જાગ્યું હતું. ત્યારે હવે આ નાળુ બનાવવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નાળાની આસપાસ ઊગેલ બાવળો દૂર કરી સાફ સફાઈની કામગીરી આરંભી દીધી છે. તેથી ટૂંક સમયમાં નવું નાળુ બનવાની કામગીરી શરૂ થશે તેવી આશા સેવાઈ રહી છે.
ગામ ગામની વાત:ખારાઘોડામાં દોઢસો વર્ષ પહેલા શોપિંગ મોલ ધમધમતો જ્યાં ક્રેડિટ કાર્ડ ચાલતા
મનીષ પારીક । પાટડીદેશના મીઠાના ઉત્પાદનમાં શિરમોર ગણાતા ખારાઘોડા વિસ્તારમાં આજથી અંદાજે દોઢસો વર્ષ પૂર્વે બ્રિટિશરોએ ખારાઘોડા નવાગામને બેનમૂન નગરીનું રૂપ આપ્યું હતું આઝાદી બાદ વહિવટ સંભાળનારી સોલ્ટ કંપનીની ઉદાસીનતા અને હાલ સરકારની બેદરકારી આ ગામની રહી-સહી અસ્મિતાને નષ્ટ કરી રહી છે. ખારાઘોડામાં ઇ.સ.1872ની આસપાસ બ્રિટિશ મીઠા કંપની વતી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ માટે સંપૂર્ણ સગવડ ધરાવતું ખારાઘોડા (નવાગામ) વસાવવામાં આવ્યું હતું. સરકારી મીઠા કંપની હિંદુસ્તાન સોલ્ટ લિમિટેડ હેઠળના આ ગામમાં છસો કરતાય વધારે આવાસ અને ઇમારતો હતી. જો કે આજે એમાંથી અંદાજે દોઢસો જેટલા બાંધકામો ડેમેજ થઇને ભૂંસાઇ ગયા છે. અંગ્રેજોએ વિલિયમ્સ નામના અધિકારી પાસે સતત બે દાયકા સુધી સર્વે અને યોગ્ય ડિઝાઇનિંગ કર્યા બાદ ખારાઘોડા (નવાગામ)નું નિર્માણ કરાવ્યું હતું. જેમાં રણની બંજર જમીનમાં પાંચ ઉત્કૃષ્ટ બગીચાઓ, લાઇબ્રેરી, રમતગમત માટે વિશાળ મેદાન, ક્લબ હાઉસ ઉપરાંત અગરિયા સોસાયટી તેમજ ભારતનો સર્વપ્રથમ શોપીંગ મોલ બલ્કલી માર્કેટ પણ બનાવવામાં આવ્યો હતો. જો કે આઝાદી બાદ આ ગામનો સમગ્ર વહિવટ હિંદુસ્તાન સોલ્ટ લિમિટેડના હાથમાં જતા કંપનીની ઉદાસીનતાના હિસાબે ધીમે-ધીમે સમગ્ર બાંધકામ અવદશા તરફ ઘસડાતું ગયું. ઉપરાંત ઇગ્લેંડથી સ્ટીમરમાં પુસ્તકો લાવીને બનાવવામાં આવેલી લુકાસ લાયબ્રેરી તથા નવાગામની માર્કેટમાં એ વખતમાં ક્રેડિટ કાર્ડ સીસ્ટમ આજે પણ નવાઇ ઉપજાવે છે. ક્રેડિટ કાર્ડથી વર્ષ દરમિયાન વિવિધ સીધુ-સામાન ખરીદી શકતા આ શોપીંગ મોલમા હાલમાં દુકાન ધરાવતા રાજુભાઇ રાફુચા જણાવે છે કે, બ્રિટિશ સલ્તનત સમયે એમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને અગરિયાઓને નિશ્વિત રકમનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવતું. એ કાર્ડમાંથી તેઓ બલ્કલી માર્કેટમાંથી વર્ષ દરમિયાન વિવિધ જાતની ખરીદી અને સીધુ-સામાનની ખરીદી કરી શકતા હતા અને વર્ષના અંતે એમનો જ્યારે મીઠું પકવ્યાનો હિસાબ થાય ત્યારે એ રકમ કાપી લેવામાં આવતી હતી. આજે પણ પાટડી-ખારાઘોડામાં રણમાં મીઠું પકવવા જતા અગરિયા પરિવારોને વેપારીઓ દ્વારા સીધુ સામાનની ખરીદી કરવા એડવાન્સ રોકડા આપવામાં આવે છે. સીઝન પુરી થયા બાદ અગરિયા દ્વારા કેટલું મીઠું ઉત્પન્ન થયું એ આધારે ચુકાવો કરવામાં આવે છે. આ ગામ આવનારા દિવસોમાં દંતકથા સમાન બની જશેએક તરફ કચ્છના નાના રણ વિસ્તારની આસપાસ પ્રવાસન ક્ષેત્ર વિકસિત થઇ રહ્યું છે ત્યારે આ ગામની ઇમારતોને સાચવવા અને રીપેરીંગ માટે સરકાર દ્વારા અલાયદુ બજેટ ફાળવી કામ શરૂ થાય તો પ્રવાસન ક્ષેત્ર માટે મોટું આકર્ષણ થઇ શકે એમ છે. અન્યથા દોઢસો વર્ષ પહેલાનું ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરું પાડતું આ ગામ આવનારા દિવસોમાં દંતકથા સમાન બની જશે.
સુવિધામાં વધારો:લીંબડી એસટી ડેપો દ્વારા કચ્છ, અમદાવાદ, જવા 2 બસ શરૂ કરાઈ
લીંબડી એસટી ડેપો દ્વારા અમદાવાદ અને કચ્છ તરફ મુસાફરી કરતા પેસેન્જરોને અવરજવર કરવામાં આસાની રહે તે માટે 2 ગુર્જર નગરી બસો શરૂ કરવામાં આવી છે. લીંબડીથી કચ્છ અને અમદાવાદ જતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લીંબડી એસટી ડેપો દ્વારા અમદાવાદ અને કચ્છ જતાં મુસાફરો માટે 2 ગુર્જર નગરી બસો શરૂ કરવામાં આવી છે. બપોરે 12:15 કલાકે બસ લીંબડીથી પ્રયાણ કરી સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ પહોંચશે. અમદાવાદથી બસ લીંબડી આવશે. સાંજે 7:30 કલાકે લીંબડીથી ઉપડીને સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, સામખિયાળી, અંજાર, ભુજ થઈને નારાયણ સરોવર પહોંચશે. બીજી એસટી બસ નારાયણ સરોવરથી બપોરે 4 કલાકે ઉપડીને કચ્છ, ઝાલાવાડના તાલુકાના એસટી બસ સ્ટેન્ડમાં ફરીને વહેલી સવારે 3 કલાકે લીંબડી ડેપોમાં પહોંચશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાની સૂચનાથી પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, કારોબારી ચેરમેન દલસુખભાઈ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને એસટી ડેપોના મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, ડો.પી.જે રાણા સહિતે એસટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રક્તદાન શિબિરનું આયોજન:ભાસ્કર સમૂહના ચેરમેન રમેશજીની જન્મતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
દૈનિક ભાસ્કર સમૂહના ચેરમેન સ્વ. રમેશજીના જન્મદિવસની પ્રેરણા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં સ્થાનિકોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું. ભાસ્કર સમૂહના ચેરમેન સ્વ. રમેશચંદ્ર અગ્રવાલના જન્મદિવસ, 30 નવેમ્બરને દરેક વર્ષે પ્રેરણા દિવસ તરીકે મનાવવામાં આવે છે. રમેશજી સમાજ પ્રત્યે સમર્પિત હતા. તેમની આ અનુકરણીય ભાવનાને આગળ વધારતા દિવ્ય ભાસ્કર સમૂહ દ્વારા તેમના 81 મા જન્મદિવસ નિમિત્તે શનિવારે સુરેન્દ્રનગરમાં પણ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં રકતદાન કરવા ઇચ્છુક ડોળીયા ભનાભાઈ ડી., રાવલ જય ડી., સૈયદ ઇમ્તિયાઝ, મકવાણા ઇશ્વરભાઈ, જયંતભાઈ સોલંકી વગેરે 12થી વધુ રક્તદાતાએ સ્વેચ્છાએ રક્તદાન કરી સમાજસેવા કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું. આ એક્ત્ર થયેલું રક્ત જરુરિયાતમંદ દર્દીઓના લાભાર્થે અર્પણ કરાયું હતું. આજના દિવસે દેશભરમાં 210 શહેરોમાં 252 રક્તદાન શિબિર યોજાઇ હતી.
વખતપર ગામના બોર્ડ પાસે પોલીસની રેડ:રવિરાજ હોટલમાંથી ડીઝલના જથ્થા સાથે રૂ. 23,750નો મુદ્દામાલ જપ્ત
સાયલા નેશનલ હાઈવેની હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધતી જોવા મળે છે. સાયલા ઇન્ચાર્જ પીઆઇ ડી.ડી. ચુડાસમાં તથા સવેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલી કે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના વખતપર ગામના બોર્ડથી આગળ આવેલી રવિરાજ નામની હોટલ ચલાવતા સાયલાના અમીતભાઈ બીરેન્દ્રભાઈ મંડલ પોતાની એટલમાં ચોરી કે છળકપટથી ડીઝલનો જથ્થો વાહનોમાંથી કાઢી પોતાના કબજામાં રાખી વેચાણ કરે છે. અને હાલે વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની જાણ થતા પોલીસે રેડ કરી હતી. જેમાં હોટલના ગ્રાઉન્ડમાં આવેલ શૌચાલયમાંથી ચોરી કે છળકપટથી નીચે મુજબનો ડીઝલનો જથ્થો જોવામાં આવ્યું હતું. જેમાં 260 લીટર ડીઝલ કિંમત રૂ. 23,400, વાદળી કલરના કેન ખાલી (કેરબા) નંગ-2 જે એક કેન કિમંત રૂ.100 લેખે કુલ કિંમત રૂ 200, ડીઝલ ભરવા માટેનું 5 લીટરની ક્ષમતા વાળુ પતરાનું ખાલી માપીયુ નંગ-1 તથા કરવાળુ નંગ-1 સહિત કુલ રૂ. 23,750ના મુદ્દામાલ સાથે અમીતભાઇ બીરેન્દ્રભાઈ મંડલ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઝાલાવાડમાં નળ સરોવર, પાંચાળ સહિતનો વિસ્તાર પ્રવાસીઓ માટે નોટ સ્પોટ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને લીમડી તાલુકાના ગામડાને નળ સરોવર જોડે છે. ત્યારે નળ સરોવરમાં 226 પ્રકારના પક્ષીઓ અને 150થી વધુ જાતિની વનસ્પતિને નીહાળવા દર વર્ષે 65,000થી વધુ સહેલાણીઓ આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં વિશ્વ પ્રસિધ્ધ પક્ષી અભ્યારણ્ય નળસરોવરમાં હાલ શિયાળાની વહેલી સવારે કુદરત ભરપુર સૌંદર્ય પાથરી રહી છે. ત્યારે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં મુલાકાતે આવી રહ્યા છે. દેશ-વિદેશમાંથી 226 પ્રકારના પક્ષી આવે છેફ્લેમિંગ, બતક, હંસ, સુરખાબ, નીકશીર (માથું ગ્રીનીસ, ડોકે સફેદ પટ્ટો, કાળી પૂછળીમાં બે પાંખો), પીળકિયા, જલમાંજર, ઢોંક, પણકાંકણસાર, ચમચા, કિંગ ફિશરનો સમાવેશ થાય છે. દેશ-વિદેશમાંથી 226 પ્રકારના પક્ષી આવે છે. આ પણીઓ પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ જમાવતા તેઓને જોવા જમાવડો જામે છે.
વેધર રિપોર્ટ:જિલ્લામાં ડબલ ઋતુના અનુભવ વચ્ચે લઘુતમ તાપમાન 20, મહત્તમ 31.3 ડિગ્રી
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા 5 દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 31.3 તેમજ લઘુતમ 20.0 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ આ દિવસે લઘુતમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરિણામે લોકો વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જ્યારે બપોરે ઉનાળા જેવી ગરમી અહેસાસ કરાવી રહી છે. એક દિવસમાં મહત્તમ ડિગ્રીમાં કોઇ ફેરફાર ન જણાયો. પરંતુ લઘુતમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 24 કલાકમાં હવાની ગતિ 1 કિમી ઘટી અને ભેજ 7 ટકા ઘટાડો થયો હતો. જિલ્લાવાસીઓએ સવારથી સાંજ સુધીમાં 11.3 ડિગ્રી તાપમાનનો લોકોએ વાતાવરણામાં અહેસાસ કરી રહ્યા છે.
મંડે પોઝિટીવ:હવે વઢવાણ દાજીરાજસિંહજી પાર્કમાં મનપાની મંજૂરીથી લોકો પોતાના કાર્યક્રમો કરી શકશે
વઢવાણમાં આવેલા ધરમ તળાવના બગીચાને મનપાએ રૂ.3.60 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યો છે. અને તેને ઠાકોર સાહેર દાજીરાજસિંહજી પાર્કનું નામ આપવામાં આવ્યું છે. ત્યાં વર્તમાન સમયે અનેક લોકો આવી રહ્યા છે ત્યારે બગીચાનો વધુમાં વધુ શહેરીજનો લાભ લે તે માટે મનપા દ્વારા બગીચામાં લોકોને પોતાના નાના મોટા કૌટુંબીક કાર્યક્રમો, સંસ્થાઓની પ્રવૃતી માટે બગીચાની જગ્યા વાપરવા માટે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેના માટે મનપાની મંજૂરી લેવી પડશે. મનપાએ ઠાકોર સાહેબ દાજીરાજસિંહજી પાર્કમાં વૃક્ષોની વનરાજી, રાઇડસ, બાળકોને રમવાના સાધનો, લોકોને બેસવા માટેની વ્યવસ્થા, ચાલવા માટેનો ટ્રેક તથા લોન સાથેનું મેદાન પણ બનાવ્યું છે. બગીચા ઉપર નજર રહે તે માટે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી પણ મૂકવામાં આવી છે. તળાવની શોભા બગીચાને સુંદર બનાવે છે. ત્યારે હવે તમારા ગૃપની કીટીપાર્ટી, જન્મ દિવસની ઉજવણી,સંસ્થાઓના જુદા જુદા કાર્યક્રમોમાટે લોકોને આ જગ્યાવાપરવા માટે આપવાનું મનપાદ્વારા આયોજન કરવામાં આવ્યુંછે. બગીચાની સાફ સફાઇ,જાળવણી સહિતની જવાબદારીકાર્યક્રમ કરનારની રહેશે. શહેરના વધુમાં વધુ લોકો આબગીચાનો લાભ લે તે માટેમનપા દ્વારા આ નવતર પ્રયોગકરવામાં આવશે.બગીચામાં લોકોની વધુઅવર જવર રહે તો આવારાતત્વોથી બગીચાને બચાવીશકાય. જો લોકો ન આવે તોઆવારા તત્વો વધી જાય અનેબગીચામાં તોડફોડ થાય અનેબગીચો નષ્ટ થઇ જાય તેમ છે.આથી લોકોને આકર્ષણ વધે તેમાટે મનપાએ આ આયોજનકર્યું છે. હોટલોમાં થતો ફંક્શનનો ખર્ચ બચશેસામાન્ય રીતે કીટી પાર્ટી, બર્થડે પાર્ટી જેવા કાર્યક્રમો હોટલમાં કરવામાં આવે તો રૂ.5થી રૂ.10 હજાર ખર્ચ થઇ જતો હોય છે. આ બગીચામાં સમયની કોઇ મર્યાદા નહીં રહે. કાર્યક્રમ બાદ બાળકો અને પરિવારજનો રમતગમત કે સંગીત સંધ્યાનો પણ આનંદ લઇ શકશે.
ગોઝારો અકસ્માત સર્જાયો:બોરીદ્રાથી મુલદ તરફ હાઇવાએ ટક્કર મારતાં બાઇકસવાર 1નું મોત, 2 ઘાયલ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અકસ્માતના બનાવો વધી રહયાં છે. બોરીદ્રાથી મુલદ તરફ આવી રહેલાં યુવાનોની બાઇકને હાઇવાએ ટકકર મારતાં એક યુવાનનું મોત નીપજયું હતું. ઝઘડિયા તાલુકાના દુ.બોરિદ્રા ગામનો સંદીપ વસાવા નામનો યુવક સાતે અન્ય બે યુવકો ગીરીશ વસાવા અને અવિનાશ વસાવા સાથે બાઇક લઇને રાતના નવ વાગ્યાના અરસામાં મુલદ ગામે લગ્નમાં જવા નીકળ્યો હતો. ત્રણેય યુવાનો બોરિદ્રા ગામના પાછળના રસ્તા પર થઇને મુલદ તરફ જતા હતા. સંદીપ બાઇક ચલાવી રહયો હતો અન્ય બે યુવાન પાછળ બેઠા હતાં. તે દરમિયાન દુ.બોરિદ્રા ગામથી થોડે આગળ મુલદ તરફથી આવતા એક હાઇવાના ચાલકે તેમની બાઇકને ટકકર મારી હતી. હાઇવાની ટકકરથી ત્રણેય રોડ પર પટકાયા હતાં. ગંભીર ઇજાના પગલે સંદિપ વસાવાનું સ્થળ પર જ મોત થયું હતું. બે ઇજાગ્રસ્ત યુવાનોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.અકસ્માત બાદ ડ્રાઇવર હાઇવા મુકીને ભાગી છૂટયો હતો.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... રસ્તાઓના પ્રેઝન્ટેશનમાં ગ્રાઉન્ડ રિયાલિટી છુપાવીને 'ઓલ ઈઝ વેલ' બતાવવાનો પ્રયાસરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાના રીપેરીંગનું કામ 30 નવેમ્બર સુધી પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે, પરંતુ આ નિર્ણય પાછળનું કારણ હવે સચિવાલયના કોરિડોરમાં ચર્ચાનો ગરમ વિષય બન્યો છે.સુત્રો કહે છે કે તાજેતરની સમીક્ષા બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ CMનું ધ્યાન આ મુદ્દા તરફ દોર્યું હતું. ચર્ચા છે કે, અધિકારીઓ દ્વારા રજૂ થયેલું પ્રેઝન્ટેશન રસ્તા સંપૂર્ણ બની ચૂક્યા હોવાનું દર્શાવતું હતું, પરંતુ વાસ્તવિક સ્થિતિ બિલકુલ જુદી હતી. જણાવાય છે કે, નાયબ મુખ્યમંત્રીએ પોતાના મોબાઈલમાં રસ્તાના ગાબડાં અને ખાડાવાળા ફોટા CMને બતાવ્યા બાદ બેઠકમાં જ એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. એ જાણવામાં આવ્યું છે કે તાત્કાલિક મુખ્યમંત્રીએ અસંતોષ વ્યક્ત કરી અધિકારીઓને કહ્યું કે “પેપર પર નહીં, મેદાન પર કામ દેખાવું જોઈએ” અને તરત જ 30 નવેમ્બર સુધી તમામ મુખ્ય રસ્તા રીપેરીંગ પૂરાં કરવાનો આદેશ આપી દીધો.હવે સચિવાલયમાં ગપસપ ચાલે છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરતી ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી છુપાવીને ‘ઓલ ઈઝ વેલ’ બતાવવાનો પ્રયાસ કર્યો હતો, જે સીધું જ સાહેબની નજરમાં પકડાઈ ગયું. કોરિડોરમાં ચર્ચા છે કે હવે રીપેરીંગ કામને લઈને અધિકારીઓમાં ભારે હલચલ છે અને દરેક વિભાગ ‘CM ઈન્સ્પેક્શન’ને લઈને એલર્ટ મોડમાં છે. શહેરી વિકાસ મંત્રીએ સ્કુલમાં ફોટા પડાવ્યા અને છાપરાવાળી સ્કુલોની હકીકત સામે આવી ગઈ દર્શનાબેન વાઘેલા અમદાવાદના અસારવા વિસ્તારના ધારાસભ્ય છે અને તેઓ રાજ્ય શહેરી વિકાસ મંત્રી પણ છે. ગત અઠવાડીયે તેઓએ પોતાના જ વિસ્તારમાં આવેલી મ્યુનિ.સ્કુલની મુલાકાત લીધી હતી. તેમની સાથે નાના મોટા કર્માચારીઓ પણ હતા. મુલાકાત બાદ ફોટો સેશન થયુ હતુ. જેમાં સ્કુલની બહાર જ મંત્રીએ હસતા હસતા ફોટા પડાવ્યા હતા. ફોટામાં સ્કુલના છાપરા દેખાઈ ગયા અને વાસ્તવિકતા ઉજાગર થઈ. જે અંગે કોઈનુ ધ્યાન ગયુ નહોતુ. આ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયા છે. જેમાં લોકો જાતજાની કોમેન્ટો અને ટીકા કરી રહ્યા છે. લોકો પ્રશ્ન પૂછે છે કે, એકબાજુ સરકાર અને મંત્રીઓ તેમજ અધિકારીઓ અવારનવાર સ્માર્ટ સીટીની તેમજ સ્માર્ટ સ્કુલોની વાતો કરતા આવ્યા છે. તો શું અમદાવાદ જેવા મોટા શહેરમાં પતરાવાળી સ્કુલોને સ્માર્ટ સ્કુલ કહેવાય છે કે શું? જો અમદાવાદમાં આવી સ્કુલો હોય તો પછી આંતરીયાળ ગામોની સ્કુલો કેવી હશે તેની ક્લ્પના કરવી જરાય મુશ્કેલ નથી. આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદના પ્રથમ નાગરFક ગણાતા મેયર પણ પતરાવાળી સ્કુલ જે વિસ્તારમાં આવેલી છે તે જ વિસ્તારના છે. સ્માર્ટ સ્કુલ અને સ્માર્ટ સીટીની વાતો વચ્ચે પોલ આ તસવીરે ખુલી કરી દીધી છે. નેતાજીએ સ્ટેજ પરથી કહેવું પડ્યું- 'આપણા નેતાનું સન્માન થાય છે તો તાળીઓ પાડો'ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દુનિયાની સૌથી મોટી પાર્ટી છે જેમાં લાખો કરોડોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે. જોકે ભાજપના જ કાર્યક્રમમાં નેતાઓના સન્માનમાં કાર્યકર્તાઓને તાળી પાડવાનું કહેવું પડે એવી સ્થિતિ સર્જાય છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મંત્રીઓનો કાર્યક્રમ હતો. જેમાં મંત્રીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્વાગતમાં કાર્યકર્તાઓ તાળી પાડતા નહોતા જેની નોંધ એક મંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને લીધી હતી. બંને નેતાઓએ ટકોર કરી ત્યારે સ્ટેજ પરથી વક્તાએ કહેવું પડ્યું હતું કે આપણા નેતાઓનું સન્માન થાય છે તો તાળીઓ પડવી જોઈએ. ભાજપ કાર્યકર્તાઓ ની પાર્ટીની વાતો કરે છે ત્યારે કાર્યકર્તાઓને આ પ્રમાણે તાળી પાડવા માટે કહેવું પડે તેમજ કાર્યક્રમમાં માંડ માંડ કાર્યકર્તાઓ ભેગા કરવા પડ્યા હતા. જીજ્ઞેશ મેવાણીના પટ્ટાકાંડના નિવેદનના પગલે વર્ગ વિગ્રહ જેવી સ્થિતિનો ભય થોડા દિવસો પહેલા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ અધિકારીઓની હાજરીમાં ચિમકી આપી હતી કે દારૂ-જૂગારના હપ્તા લેનારા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારી લેવાશે. તેમના આ નિવેદનના અલગ અલગ પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસ પરિવાર દ્રારા જીજ્ઞેશના પટ્ટાકાંડના નિવેદન સામે રોષ અને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયામાં પણ નાગરિકો અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે. એક વર્ગ એવો છે કે, જેઓ માને છે કે, મેવાણીએ પોલીસની હપ્તાખોરી અને પટ્ટા ઉતારવાના સંદર્ભમાં જે નિવેદન આપ્યુ છે તે યોગ્ય જ છે તેમાં કશુ ખોટું નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે, મેવાણીને આ નિવેદન ભારે પડવાનુ છે. ધારસભ્ય તરીકે તેઓએ મર્યાદાઓ રાખવી જોઈએ.જ્યારે કેટલાક લોકો માને છે કે, પોલીસ પરિવાર દ્રારા મેવાણી સામે કરાઈ રહેલા વિરોધમાં પણ રાજકીય ગંધ આવી રહી છે. યુ ટ્યુબરો પણ મેવાણીના પટ્ટાકાંડને મુદ્દો બનાવીને પોતાના સ્કોર સેટલ કરી રહ્યા છે. જેને પગલે એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે કે, પટ્ટાકાંડનો આ મુદ્દો જો ઝડપથી શાંત કરવામાં નહી આવે તો સભ્ય સમાજમાં એક પ્રકારનો વર્ગ વિગ્રહ થઈ શકે છે. હવે ગમે તે ક્ષણે કેટલાક સિનિયર IASની બદલી નિશ્ચિતઆગામી દિવસોમાં હવે ગમે તે ક્ષણે કેટલાક સિનિયર આઈએએસ અધિકારીઓની બદલીઓ થવાની શક્યાતો દેખાઈ રહી છે. ગત મહિને મુખ્ય સચિવ પંકજ જોશી વયનિવૃત્ત થયા બાદ હવે એસીએસ સુનયના તોમર નિવૃત્ત થયા છે. જ્યારે 31મી ડીસેમ્બરે એસીએસ એસ.જે. હૈદર વયનિવૃત્ત થશે. મુખ્ય સચિવ થયા બાદ પણ એમ. કે. દાસ પાસે હજુ હોમનો વધારાનો હવાલો પણ ચાલુ છે તેમજ તેઓ સીએમઓમાં મુખ્યમંત્રીના એસીએસ તરીકે કાર્યરત હતા હવે તે જગ્યા પણ ખાલી છે. સુનયના તોમર નિવૃત થતા તેમની પાસે રહેલા વિભાગોના ચાર્જ ધનંજય દ્વિવેદી અને મુકેશ કુમારને આપવામાં આવ્યો છે. ઉત્સાહમાં મેવાણીએ પોતાના જ વખાણ કરી નાખ્યારાજ્યમાં સૌથી ચર્ચાતો મુદ્દો ડ્રાય સ્ટેટ ગણાતા એવા ગુજરાત રાજ્યમાં વેચાતા દારૂ અને ડ્રગ્સને લઈને ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સમાં મુદ્દાને લઈ સરકારને ભીંસમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા પર પણ ગુજરાતમાં વેચાતા દારૂને લઈને ચર્ચા જાગી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બોલ્યાં હતા કે હું સીએમ કરતાં પણ દેશમાં વધારે પ્રખ્યાત છું. આ તો સમય નથી નહીં તો હું સાઉથની એક બે ફિલ્મ પણ કરી લઉ એવું છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આંદોલનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હવે ગુજરાતમાં તેમણે ઉઠાવેલા દારૂ અને ડ્રગ્સના વેચાણના મુદ્દા પર સરકાર અને ગુજરાત પોલીસ ભીંસમાં આવતા પોતે પણ ખૂબ પ્રખ્યાત થઈ ગયા હોવાનું જાતે જ વખાણ કરી નાખ્યા હતા. યુપીમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરમાં ગુજરાત ભાજપના યુવા નેતાની સંડોવણીની ચર્ચાઉત્તરપ્રદેશના લખનઉ ખાતેથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર મામલે એક આરોપીની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપાયેલા કોલ સેન્ટર મામલામાં ગુજરાતના અમદાવાદનું કનેક્શન સામે આવ્યું છે ત્યારે ભાજપના જ યુવા નેતાઓ અને અગાઉ કોલ સેન્ટર કેસમાં જેમના નામ પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે તેમના નામ ફરી ચર્ચામાં આવ્યા છે. ભાજપના સાથે જોડાયેલા કેટલાક કોલ સેન્ટરના કૌભાંડીઓ હવે અન્ય રાજ્યોમાં પોતાનું સેટઅપ કરી ચલાવી રહ્યા છે ત્યારે હજી પણ ભાજપના કેટલાક નેતાઓનું આ આરોપી સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચા છે. ભાજપના યુવા નેતાઓ પણ હજી કોલ સેન્ટરમાં સક્રિય હોવાની ચર્ચા વચ્ચે હવે ફરી એકવાર કોલ સેન્ટરો ચાલતા હોવાની ચર્ચા જાગી છે ત્યારે CBI ગુજરાત સુધી કનેક્શન પહોંચે અને કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેઓ આવા કોલ સેન્ટરના લોકો સાથે સંકળાયેલા છે તેની સુધી પહોંચે તે પહેલા પોલીસે પણ દરોડા પાડી કોલ સેન્ટરો પકડી રહી છે. પોતાના વિસ્તારમાં શક્તિ કેન્દ્રોની સંખ્યાથી અજાણ ધારાસભ્યએ ઠપકો સાંભળવો પડ્યોગુજરાત રાજ્યમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત ભાજપના તમામ ધારાસભ્યોથી લઈ કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં SIRની કામગીરી સોંપવામાં આવી છે જે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય લેવલના નેતાઓ પણ ગુજરાતમાં આવીને કામગીરી અંગે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ભાજપના એક ધારાસભ્યને પોતાના મતવિસ્તારમાં કેટલા શક્તિ કેન્દ્ર આવેલા છે તેની જાણકારી નહોતી જેના પગલે તેમને ઠપકો સાંભળવો પડ્યો હતો. SIR કામગીરી માટે ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ તમામ લોકો ખૂબ જ ગંભીર છે પણ આ ધારાસભ્ય ખબર ન હોવાના પગલે તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. ચિંતન શિબરનો સાર, દર વખતની જેમ ખાધુ,પીધુ અને પાછા આવ્યા…દર વખતની જેમ આ વખતે પણ ચિંતન શિબિર યોજાઈ હતી. ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ સહીતના તમામ આઈએએસ અધિકારીઓ,ડીજીપી, હોમ સેક્રેટરીની હાજરીમાં ચિંતન મનન કરાયુ હતુ. આ વખતે આ શિબિરમાં પાંચ મુખ્ય વિષય રખાયા હતા. જેમાં વિકસીત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અન વ્યકિતગત કામગીરી મુલ્યાંકન,પોષણ અને જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને પર્યાવરણ,જાહેર સલામતી અને સેવાક્ષેત્રની બુધ્ધિ અને વૈવિધ્યીકરણનો સમાવેશ થાય છે. જો કે, આ વખતે આ વિષયો ઉપરાંત અન્ય એક વિષય કે જેનો ક્યાંય ઉલ્લેખ નથી એ બાબતનુ વિશેષ ધ્યાન રખાયુ હતુ. એટલે કે જમવાનુ બગડે નહી તે માટે બપોરના અને સાંજના ભોજનમાં ખુબ જ ઓછી અને મર્યાદિત વાનગીઓ રાખવામાં આવી હતી. ખુદ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે, ગત વખતે સોમનાથમાં ચિંતન શિબિર મળી હતી તેમાં જે કંઈ ચર્ચા વિચારણા થઈ હતી તેના સંદર્ભમાં આગળની કોઈ કાર્યવાહી થઈ શકી નથી. તે અગાઉની ચિંતન શિબિરોમાં પણ અનેક મુદ્દે ચર્ચા થઈ હતી તેમજ રોડમેપ બનાવાયા હતા પણ એમાં પણ કશુ ફોલોઅપ થયુ નથી. તો પછી આ ચિંતન શિબિરનો અર્થ શું. જો કે, સિનિયરો સમજાવે છે કે, ભાઈ તમારે કોઈ અર્થઘટન કરવાનુ નથી. પણ ત્રણ દિવસ રજા માણીને જલસા કરવાના છે, ખોટી ચિંતા કરવાની જરૂર નથી. CCTVથી ગટરલાઈન સાફ કરવાની ફાઈલ વિભાગમાંથી ગુમ!અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટરલાઈનો સીસીટીવીથી સાફ કરવા માટે આપવામાં આવેલા રૂ. 1 કરોડના કોન્ટ્રાક્ટની ટેન્ડરની ફાઈલ ગુમ થઈ ગઈ છે. 8 મહિના પહેલા જ એક કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવ્યો હતો જેની મૂળ ટેન્ડરની ફાઈલ ઉત્તર ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓને કર્મચારીઓની બેદરકારીથી ગુમ થઈ જતા ચર્ચા જાગી છે કે, કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે ત્યારે આટલી ગંભીર ભૂલ કેવી રીતે કોર્પોરેશનમાં થઈ રહી છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ મૂળ ટેન્ડરની કોઈ વિગતો હવે ઇજનેર વિભાગ પાસે નથી જેને લઇને કામગીરી અને ટેન્ડરની શરતો અંગે અધિકારીઓ પાસે કોઈ જાણકારી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની શરતનો ભંગ કરવામાં આવે તો પણ તેને કેવી રીતે કાર્યવાહી કરવી તે મૂળ ફાઈલ વિના જાણ ન થાય જો કે ઇજનેર વિભાગના અધિકારીઓની કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટોની ફાઈલ મામલે બેદરકારી સામે આવી છે.
ગોધરાના કોટડા ગામે આદિવાસી વિકાસ ફાઉન્ડેશન પંચમહાલ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન, સન્માન સમારોહ અને આદિવાસી સમાજ ભવનના શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજના યુવાઓને સરકારી પરીક્ષાઓની તૈયારી, સભાઓ, માર્ગદર્શન અને અન્ય વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ માટે આ ભવન અત્યંત ઉપયોગી બનશે, એમ ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું. કાર્યક્રમમાં આદિવાસી નેતાઓએ સમાજમાં વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલ ચિંતાજનક સ્થિતિ તેમજ વ્યસનોની બદી અંગે આદિવાસી નેતાઓએ ટકોર કરી હતી. દાહોદના સાંસદ જસવંતસિહ ભાભોરે જણાવ્યુે હતુ કે , સમાજ છે તો વ્યક્તિ છે, રાજનીતિની અંદર અત્યારે સમાજમાં ઘણુબધુ ચાલી રહ્યું છે.પણ સમાજમાં હાથ ખેંચો પગ ખેંચવાનું બંધ કરો. સમાજના પ્રશ્નો આવે ત્યારે રાજનીતિ કર્યા વગર અમે એક મંચ પર આવીએ છીએ. રાજનીતિ આજે છે ને કાલે નથી.જન્મથી મરણ સુધી સમાજ છે. સરકાર સામે હવે કોઈ લડાઈ છે નહીં, લડાઈ અંગ્રેજો સામે હતી. ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોરે જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભૂતકાળની રૂઢિ અને પરંપરાગત માંથી બહાર આવી વર્તમાન સમય સાથે તાલ મિલાવવો પડશે. રૂપિયા 25 સો કરોડના ખર્ચે દાહોદમાં રેલવે એન્જિન બનાવવાનું કારખાનું નાખવામાં આવ્યું છે ત્યાં સ્થાનિકો રોજગારી માટે પહોંચ્યા હતા પરંતુ સ્કીલ મેળવ્યા વગર નોકરી કેવી રીતે આપવાની ? પુર્પ્ર સાંસદ પ્રભા તાવીયાડે જણાવ્યુ હતુ કે, સમાજમાં પાન મસાલા બીડી સિગરેટના વ્યસનને બંધ કરવા જોડી ફેલાવી વ્યસનને ત્યજવા માટે કરી અપીલ, વ્યસનોને લઈને નિ: સંતાનપણા માટે જવાબદાર ગણાવવામાં આવ્યું છે.
ૉદેવગઢ બારિયામં ટીકડી ગામમાં ખેતરમાં ઢાળમાં ટ્રેક્ટર આગળથી ઉંચુ થઇ જતાં ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ફંગોળાઇ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને ઇજા થઇ હતી. ટ્રેક્ટર ચાલક સામે દેવગઢ બારિયા પોલીસે ફેટલનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દેવગઢ બારિયા તાલુકાના ટીકડી ગામના સાલીયા ફળિયામાં રહેતો લાલસીંગભાઇ કરસનભાઇ બારીયા તેની પત્ની રેખાબેન બારીયા અને છોકરો જીજે20-એએચ-3925 નંબરના ટ્રેક્ટરમાં બેસીને જતાં હતા. ટ્રેક્ટર તેમના ગામના જુના વડેલ ફળિયાનો ચેતનભાઇ બાબુભાઇ બારીયા હંકારતો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારતા લાલસીંગભાઇ અને તેમની પત્નીને ડ્રાઇવર ચેતનને પુરઝડપે હંકારવા ના કહેવા છતાં તેને ઝડપથી અને બેદરકારીથી હંકારતાં ખેતરમાં ઢાળ વાળી જગ્યાએ ટ્રેક્ટર આગળથી ઉચુ થઇ ગયું હતુ. જેમાં લાલસીંગભાઇની પત્ની અને પુત્ર ટ્રેક્ટર અને ટ્રોલીની વચ્ચેના ભાગે ફંગોળાઇ ગયા હતા. જેમાં માતા પુત્ર બન્નેને ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા ચેતનભાઇ બારીયા ટ્રેક્ટર લઇને નાસી ગયો હતો. જ્યારે રેખાબેન લાલસીંગભાઇ બારીયાને ગંભીર ઇજાઓ થતાં તેનુ મોત નિપજ્યું હતું.
ગાંજાનો મોટો જથ્થો પકડાયો:વાડામાંથી 19.510 કિલોના લીલા ગાંજાના છોડવા સાથે વૃદ્ધની ધરપકડ
દાહોદ તાલુકાના ખાપરીયા ગામમે વાડામાં ઉછેર કરેલા લીલા ગાંજાના 20 છોડવા જેની કિંમત 9,75,500 રૂા.ની સાથે 67 વર્ષિય વૃદ્ધને એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ એસ.ઓ.જી. પી.આઈ. અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ખાપરીયા ગામના ચાછલા ફળિયામાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ પનિયાભાઈ રતનાભાઈ અમલીયારે પોતાના ઘરના વાડામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડનું ગેરકાયદે વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસઓજી સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વૃદ્ધ પનિયાભાઈ અમલીયારને હાજર રાખી તેમના વાડામાં તલાશી લીધી હતી. તલાશી દરમિયાન પોલીસને વાડામાં વાવેલો લીલા ગાંજાના છોડનો જથ્થો મળી આવ્યો હતો. આ લીલા ગાંજાના કુલ 20 છોડવા હતા. જેમનું વજન 19.510 કિલોગ્રામ થયું હતું. આ જથ્થાની આંકવામાં આવેલી કિંમત આશરે 9,75,500 રૂા. છે. એસઓજીએ આ 9.75 લાખ રૂા.ના લીલા ગાંજાના છોડવા જપ્ત કર્યા હતા. વૃદ્ધ પનિયાભાઈ રતનાભાઈ અમલીયારની ધરપકડ કરી હતી. કતવારા પોલીસે વૃદ્ધ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડદોઢ વર્ષમાં ડ્રોન ઉડાવતા 2.60 કરોડનો ગાંજો પકડાયોદાહોદ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં પોલીસે ડ્રોન ઉડાવીને ખેતરમાં ઉગવેલો 2.60 કરોડ રૂપિયાના ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતાં. જેમાં નવેમ્બર 2024માં દેવગઢ બારિયાના ગુણા ગામેથી ડ્રોનની મદદથી ગાંજાના 4 ખેતરો પકડાયા હતા, જેનો જથ્થો અંદાજે રૂા.17 લાખની કિંમતનો હતો. તેની જ રીતે નવેમ્બર 2024માં જ જિલ્લાના 3 ખેતરોમાંથી ગાંજાના કુલ 493 છોડ મળી આવ્યા હતા. જેની કિંમત રૂા.16.91 લાખ હતી. ફેબ્રુઆરી 2025માં દેવગઢ બારિયા તાલુકાના ખેતરોમાં પણ કુલ કિંમત રૂા.2.36 કરોડનો ગાંજો પકડાયો હતો.
દાહોદ તાલુકાના કતવારા ગામેથી હાઇવે ઉપરથી ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં હળવદ મોરબી ખાતે લઇ જવાતો 64.11 લાખ ઉપરાંતના દારૂ સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. 84,26,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કતવારા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકના પીઆઇ યુ.એમ.ગાવિત તથા કતવારા પોલીસ મથકના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પીઆઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આઈસર ટેમ્પો જેનો રજી.નંબર-RJ-04-GC-82 29માં ઈંગ્લીશ દારુ ભરી ઝાબુઆ પીટોલ (એમપી) થઇ ગુજરાતમાં ખંગેલા થઇ દાહોદ તરફ આવનાર છે. જેના આધારે કતવારા ગામે કશીશ હોટલ આગળ ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી આઈસર ટ્રક આવતા તેને ઉભી રખાવી ડ્રાઇવરને ટ્રકમાં શું ભરેલ છે પુછતા તેને ટ્રકમાં ડુંગળી ભરેલાનું જણાવતો હોય પરંતુ તે જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કરતો હોય ટ્રક ડ્રાઇવરને નીચે ઉતારી પુછપરછ કરતા તેણે પોતે પોતાનુ નામ હનુમાનરામ સુખરામ જાંગુ (બિશ્નોઈ) ઉ.વ.33 રહે. જાંગુઓ કી ધાણી ઉપરલા તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન)નો જણાવ્યું હતું. ટ્રકમાં શંકાસ્પદ લાગતા ઉપર ચડીને ગાડી જોતા તેમાં ડુંગળીની આડમાં છુપાયેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી કુલ પેટીઓ 411 જેમાં 64,11,600 રૂપિયાની નાની મોટી 6732 બોટલો મળી આવી હતી. જથ્થો, 20 લાખ રૂપિયાની ટ્રક અને ડુંગડીના કટ્ટા 50 જેની કિંમત 50000, બે મોબાઇલ જેની કિંમત 10 હજાર રૂપિયા મળી કુલ 84,26,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ ડ્રાઇવર તથા હેરાફેરીમાં સંડોવાયેલા રાજેન્દ્રરામ ઉર્ફે રાજુભાઈ દેવારામ જાંગુ (બિશ્નોઈ) રહે.જાંગુઓકી ધાણી ઉપરલા તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન), રાજુભાઈ સોહનલાલ તેતરવાલ (બિશ્નોઈ) રહે.નેડીનાડી તાધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) અને હળવદ મોરબી ખાતે દારુ મંગાવનાર અજાણ્યા વ્યક્તિ સામે કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાયદો અને વ્યવસ્થામાં યોગદાન બદલ સન્માન:ગોધરા નાયબ પોલીસ અધિક્ષકનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
ગોધરા શહેરમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં કાર્યરત રહેતા અને ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે સેવા બજાવતા એન.વી. પટેલ સન્માનપૂર્વક નિવૃત્ત થયા હતા. ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા, ઈમાનદારી અને માનવતા માટે તેઓ સમગ્ર જિલ્લામાં વિશેષ પ્રતિષ્ઠા ધરાવતા અધિકારી તરીકે જાણીતા હતા. એન.વી. પટેલ દ્વારા ગોધરા શહેરમાં કાયદો–વ્યવસ્થા જાળવવાના તેમના કડક અને સંવેદનશીલ અભિગમને કારણે અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ નિયંત્રણમાં આવી હતી. ગાયોના ગેરકાયદે કતલખાનાં અને તસ્કરી સામે એન.વી. પટેલે અડગ અને બહાદુર લડત આપી હતી. પોતાના જોખમે અનેક ઓપરેશન્સ ચલાવી તેમણે હજારો ગાયોને મૃત્યુમાંથી બચાવી હતી.
દાહોદના પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા જુદા જુદા ધર્મ-પંથના ધર્મગુરુઓ, વડાઓ અને મોભીઓને એક પર્યાવરણ પરિસંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પરિ-સંવાદમાં તમામ ધર્મગુરુઓએ પર્યાવરણ બચાવવાના આહ્વાનમાં સક્રિય રીતે સાથે રહેવાનો અને આગામી ધાર્મિક કાર્યક્રમો તથા પ્રસંગોમાં પણ પ્રકૃતિના જતનની વાતને કેન્દ્રમાં રાખી લોકોને સજાગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. તમામ ધાર્મક વડાઓએ આ વાત પર ભાર મૂક્યો હતો કે જો આપણે પ્રકૃતિનો વિવિધ રીતે ઉપભોગ કરીએ છીએ. તો તેનું જતન તથા તેના બચાવ કરવાની પણ આપણી ફરજ છે. આગામી સમયમાં પોતપોતાના ધાર્મિક કાર્યક્રમો તથા પ્રસંગોમાં પ્રકૃતિને પણ ભાગ આપી તેના ઉપર લોકોને આગળ આવવા આહવાન કરશે. સૌ ધર્મના વડાઓએ પર્યાવરણ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ચિંતન કર્યું હતું. મંડળ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે કે સૌ દાહોદના પર્યાવરણ પ્રેમી નગરજનો સાથે આવી દાહોદને વધુ હરિયાળુ તથા નવપલ્લવીત બનાવવા માટે સાથે રહીને આ પ્રયાસમાં અગ્રેસર રહેશે. મંડળના પર્યાવરણ બચાવવાના આહવાન રૂપી આ આ પરિસંવાદમાં ધર્મગુરુઓ સાથે પ્રકૃતિ મિત્ર મંડળના મુખ્ય હોદ્દેદારો, મેનેજિંગ ટ્રસ્ટી અજયભાઈ દેસાઈ સહિત આગેવાનો જોડાયા હતાં. કયા-કયા ધર્મગુરુની ઉપસ્થિતિ પરિસંવાદમાં મુસ્લિમ સમાજમાંથી મૌલવી વસીમ રુલઅમીન વાઢેલ, મૌલવી સાજીદ યાકુબભાઇ નાંદોલિયા, હિન્દુ સમાજમાંથી વર્ણીનાથ સ્વામી અને નલીનભાઇ શાશ્ત્રી, ખ્રિસ્તી સમાજમાંથી ફાધર રાજેશ ડીસોઝા ,મેજર દીનેશ મેકવાન અને દાઉદી બહોરા સમાજમાંથી શેખ મુર્તુજાભાઇ રામપુરલાવા, શેખ મુરતુઝાભાઇ ચલ્લાવાલા અને શેખ જુજરભાઇ અને શેખ હૈદરભાઇ અને શીખ સમાજમાંથી સ્વરણસિંહ ચરનસિંહ સરદાર અને મનજીતસિંહ રુદસિંહ સરદારે હાજર રહીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતાં.
આપ કાર્યકર ઉપર ગંભીર આરોપ:દાહોદમાં આપ કાર્યકરે પરિણીત યુવતિનુંઅપહરણ કરી શારીરિક અડપલાં કર્યાં
દાહોદ તાલુકાના નીમનળીયા ગામના રહેવાસી અને આમ આદમી પાર્ટીના કાર્યકર પરિણીત યુવતીને નોકરીની લાલચ આપી અપહરણ કરી કારમાં શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી છે. દાહોદ તાલુકાના નીમનળીયા ગામના આપના કાર્યકર દેવેન્દ્ર લક્ષમણભાઇ મેડા તા.29 સવારે પોતાની કાર લઇને દાહોદ આઇટીઆઇ બાજુ ગયો હતો. જ્યાં તેની પરિચીત એક 27 વર્ષિય પરિણીત યુવતી મળતાં તેને દાહોદ રેલવે કારખાનામાં નોકરીની લાલચ આપી હતી. ત્યાર બાદ બળજબરીથી તેની કારમાં બેસાડી અપહરણ કર્યુ હતું. યુવતીને કારમાં બેસાડી તેની સાથે શારીરિક અડપલા કરી બિભત્સ માંગણી કરી હતી. યુવતીએ બુમાબુમ કરતાં દેવેન્દ્ર મેડાએ તેને છોડી દીધી હતી. યુવતીએ દેવેન્દ્ર મેડા સામે દાહોદ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી દેવેન્દ્ર મેડાની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે, દેવેન્દ્ર મેડા અગાઉ બીટીપીનો પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યો છે. ત્યાર બાદ ચૈતર વસાવાની હાજરીમાં આપમાં આપનો 1 કાર્યકર પખવાડિયા પહેલાં ચોરીમાં પકડાયો હતોલીમખેડા તથા રણધીકપુર પોલીસ મથક વિસ્તારમાં દુકાનોમાં ચોરી થઇ હતી. તેમાં 14 નવેમ્બરે પોલીસે લીમખેડાના ચીલાકોટા ગામના માળ ફળિયાના વિક્રમ વળવી, વિપુલ તડવી અને વલુંડી ગામના ભગત ફળિયાના પ્રથમ ઉર્ફે શૈલેષ બારિયાની ધરપકડ કરી હતી. ત્યારે 3માંથી શૈલેષ પણ આપનો કાર્યકર હોવાનું સામે આવ્યુ હતું.
હડપ ડેમમાંથી રવિ સિઝનની ખેતી માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે જળપૂજન કરીને આ પાણી છોડ્યું હતું. આ નિર્ણયથી તાલુકાના 21 ગામોની અંદાજે 4000 હેક્ટર જમીનને સીધો લાભ મળશે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ની ઉપસ્થિતમાં હડફ ડેમની ડાબા કાંઠા તેમજ જમણા કાંઠાની નહેરોમાં પાણી છોડવાની શરૂઆત કરાવી હતી. આ તકે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.હડફ ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ડેમમાંથી છોડવામાં આવેલું આ પાણી મોરવા હડફ તાલુકાના અંદાજિત 21 જેટલા ગામોમાં પહોંચશે, જેના કારણે આશરે 4000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. ખેડૂતોની લાંબા સમયથી રવિ પાકના વાવેતર અને માવજત માટે ડેમમાંથી પાણી છોડવાની માંગણી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેરા તુજકો અર્પણ:8 વર્ષમાં કબજે કરાયેલી 3.20 લાખની 11 બાઇક પરત કરાઇ
દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશનમાં “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા લગભગ 8 વર્ષ દરમિયાન વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલી અને કેસોની કાર્યવાહી પૂર્ણ થવા બદલ લાંબા સમયથી પોલીસ મથકમાં પડેલી 11 બાઇકો તેમના મૂળ માલિકોને સત્તાવાર રીતે પરત સોપવામાં આવી. અંદાજે રૂા.3.20 લાખ મૂલ્યના આ વાહનોના વાસ્તવિક હક્કદાર લોકોને તેમની ઓળખ અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ થયા બાદ હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તેમજ લીમખેડા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડના માર્ગદર્શન અનુસાર યોજાયો હતો. વાહનો માલિકોને પરત આપતા પહેલાં સાગટાળા પોલીસ દ્વારા દરેક બાઇકના RTO રેકોર્ડ, એન્જિન–ચેચિસ નંબરો, FIR વિગતો તેમજ કાનૂની દસ્તાવેજોની સઘન ચકાસણી કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમનો હેતુ કાયદેસર રીતે કબજે કરાયેલી માલમત્તા તેના હક્કદાર સુધી પહોંચાડવાનો છે. જેનાથી પોલીસ–પ્રજા સંબંધો મજબૂત બને છે.
સોશિયલ મીડિયા ની ધેલછા અને તેના વધતા જતા ઉપયોગ યુવાધનને અઘટિત કરતા કરી દીધા હોવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી માં એક યુવક જોખમી રીતે ધોળા દિવસે બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. પૂર ઝડપે બાઈક પર સીટ પર ઉભા રહી સ્ટેરીંગ સાંભળ્યાં બાદ અચાનક જ તેના પર ઉભો થવાની કોશિશ કરી રહ્યો હતો. એક નહિ પણ બે બે સ્ટીયરિંગ પર હાથ છોડી ઉભો થયો હતો. એક વાર તો પડતા પડતા બચ્યો હતો.વિડીયો તેની પાછળ આવી રહેલા એક બાઈક ચાલકે બનાવ્યો હતો. હાલ તો જીઆઇડીસી પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે.
LCBની કાર્યવાહી:રેલવેના કોપર વાયરોની ચોરી કરતા 2 તસ્કર ઝબ્બે
ભરૂચ જિલ્લામાં નોંધાયેલા મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયમ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ત્રાલસા કોઠી ગામ તરફથી એક શંકાસ્પદ રીક્ષા કોપર કેબલ ના ટુકડા ભરી જંબુસર બાયપાસ બ્રિજ તરફ આવી રહેલ છે. બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બંને ઇસમોને કોપર કેબલના 260 ગ્રામ ટુકડા, ઈલેક્ટ્રીક કટર, રીક્ષા મળી કુલ રૂપિયા 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને રીક્ષા સાથે બે ઇસમને ઝડપી પાડી તેની તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ઇસમોએ જણાવ્યુ હતું કે, ચાર મહિના પહેલા ત્રાલસા ગામે આવેલ રેલવે વિભાગના ટીએસએસ માંથી રાત્રીના સમયે કોપરના કેબલ ની ચોરી કરી સંતાડી રાખ્યા હતા. ત્યાર બાદ કોપર કેબલ ના ટુકડા કરીને રીક્ષામાં ભરી વેચાણ કરવા જતા હતા. પોલીસે બંને ઇસમોને કોપર કેબલના 260 ગ્રામ ટુકડા, ઈલેક્ટ્રીક કટર, રીક્ષા મળી કુલ રૂપિયા 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રાલસા કોઠી ગામ તરફથી એક શંકાસ્પદ રીક્ષા કોપર કેબલ ના ટુકડા ભરી જંબુસર બાયપાસ બ્રિજ તરફ આવી રહેલ છે. બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી. અને રીક્ષા સાથે બે ઇસમને ઝડપી પાડી તેની તેની પૂછપરછ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી રણછોડ રાઠોડ રહે ત્રાલસા અને મોહસીન સિરાઝ ગોદર રહે પારખેત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં નોંધાયેલા મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સમાપન જિલ્લા કલેકટર એસ. કે. મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મંજુલા ચૌધરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે,આચાર્ય રીનાબેન પંડ્યા, નિમેષ પંડ્યા, મહેશ પટેલ સહિતના મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન મેળામાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 25 તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા 20 એમ કુલ 45 વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા દરેક કૃતિનું ઝીણવટભર્યું અવલોકન કરી વિદ્યાર્થીઓ પાસેથી સમજૂતી મેળવી તટસ્થ મૂલ્યાંકન કર્યું હતું. બધા નિર્ણાયકો ભેગા થઈને વિજેતા કૃતિ જાહેર કરશે જે કૃતિ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમાપન પ્રસંગે વિજેતા તથા ઉપવિજેતા વિદ્યાર્થીઓને ઈનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાજ્યારે તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સીઝન પહેલાં ઝાડેશ્વરમાં ખેડૂતોની બેઠક:રવી વાવેતર પહેલાં બીજામૃતઅને જીવામૃતનો ઉપયોગ કરો
ભરૂચ જિલ્લામાં આગામી રવિ પાકોના વાવેતર પૂર્વે જ ખેડૂતો બીજામૃત અને જીવામૃતનો ઉપયોગ કરે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેનું આયોજન કરાયું હતું. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં આત્મા પ્રોજેકટ અને કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્સનની સંયુક્ત બેઠકનું આયોજન કરાયું હતું. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે જિલ્લાના કૃષિ સખી અને સીઆરપીને પોતાના ક્લસ્ટરમાં સતત પ્રયત્નશીલ થઈ તેઓના ક્લસ્ટર હેઠળના ત્રણ ગામના મળીને કુલ 125 એવા ખેડૂતો પસંદ કરવા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરતા નથી. આવા ખેડૂતોની યાદી તૈયાર કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રાકૃતિક ખેતીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિદર્શન યોજવું. સાથે નજીકના મોડેલ ફોર્મ ની મુલાકાત, બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની મુલાકાત લેવડાવી જોઇએ.ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ગ્રામ્ય કક્ષાની તાલીમ ગોઠવવા આયોજન કરવા જણાવ્યું હતું. જેમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્રના પ્રાકૃતિક ખેતીમાં જરૂરિયાત અને મહત્વ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાસ્કર નોલેજપ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે શું આયોજન કરાયું છેજિલ્લામાં પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ગામો વચ્ચે એક ક્લસ્ટર બનાવી ભરૂચ જિલ્લાના 180 ક્લસ્ટરમાં 180 કોમ્યુનિટી રિસોર્ટ પર્સન અને 180 કૃષિ સખીની નિમણૂક કરવામાં આવી છે. જેના પરિણામે જિલ્લાના 38 ક્લસ્ટરના મળીને કુલ 458 નવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તરફ વળ્યા છે.
વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લામાં ભેજનું પ્રમાણ ઘટીને 28 થી 59 ટકા નોંધાયું
ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન છેલ્લા એક સપ્તાહથી 20થી 23 ડિગ્રીની આસપાસ રહ્યું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી ગયું હોય તેવું અનુભવાય રહ્યું છે. માવઠા બાદ જિલ્લામાં ઠંડી પડવાની શરુ થઈ હતી. હાલ ઠંડી ઓછી પડી રહી છે. વહેલી સવારે નદી કાંઠાના કેટલાક વિસ્તારમાં ઠંડી વધુ અનુભવાયા રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં 28 થી 59 ટકા અને પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ લઘુત્તમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. પવનમાં ઘટાડો થવાના કારણે ખેડૂતો તેમના ખેતી પાકમાં જરૂરી દવાનો છંટકાવ કરી શકશે.
કરંટ લાગતા મોત:ઓરી ગામે હાઇડ્રોલિક વીજવાયરને અડી જતાં ડ્રાઇવરનું કરંટ લાગતા મોત
ઓરી ગામે ટ્રક ચાલકે ટ્રકનું હાઇડ્રોલિક ઉંચુ કરવા જતા ઇલેક્ટ્રિક તારને અડી જતાં કેબિનમાં બેઠેલા ડ્રાઇવરનું કરંટ લાગવાથી મોત થયું છે. ઉત્તરપ્રદેશના મિરઝાપુર જિલ્લાના મવૈયા ગામના રહીશ રવિશંકર રાજારામ દુબે નાંદોદ તાલુકાના ઓરી ગામે નર્મદા નદી કિનારે આવેલ રેતીની લીઝ માંથી રેતી ભરી સુરત ખાતે લઈ જવાની હતી. ઓરી ગામ ખાતે આવેલ રામનાથ એન્ટરપ્રાઇઝ સ્ટોક ખાતે ટ્રકનું હાઇડ્રોલિક ઉંચુ કરવા જતા ઉપર રહેલા વીજળીના વાયરને આ હાઇડ્રોલિક અડી જતાં કેબિનમાં બેઠેલાં રવિશંકર દુબેને કરંટ લાગતાં તેનું મોત થયું હતું.
માર્ગ અને સલામતી સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા:અકસ્માત ઝોનની નિયમિત મુલાકાત લેવા આદેશ
નર્મદા જિલ્લામાં અકસ્માતના વધી રહેલાં બનાવો અંગે માર્ગ અને સલામતી સમિતિની બેઠકમાં ચિંતા વ્યકત કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટરે અકસ્માત ઝોનની નિયમિત મુલાકાત લઇ સાવચેતીના પુરતા પગલાં ભરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટરસી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં અકસ્માતોની સંખ્યાને નિયંત્રિત કરવામાટે કેટલાંક મહત્વપૂર્ણ અને રચનાત્મક સુચનો આપ્યા હતા. જેમાં જનજાગૃતિ વધારવા, અકસ્માત ફ્રી ઝોન થકી સંભવિત આપત્તિ નિવારણ માટેની વ્યવસ્થાઓમાં સુધારો લાવવા અને સકારાત્મક અભિગમ સાથેકામગીરી કરવાની મહત્વતા પર ભાર મુક્યો હતો. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિમિષા પંચાલે પણ માર્ગસલામતીના નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન દોરીને, ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનો પર યોગ્ય રીતે રિફ્લેક્ટર લગાડવા તેમજ શાળાના બાળકો અને નાગરિકોના સલામત પરિવહનને ધ્યાને લઈને પ્રાઇવેટ નંબર પ્લેટ અને સીટિંગ કેપેસીટીથી વધુ બેસાડનાર ડ્રાઇવરો પર થયેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં અકસ્માત નિવારણ માટે એક્ટિવ બ્લેકસ્પોટ પર ધ્યાન કેન્દ્રિત કરી યોગ્ય પગલાં લેવાઅને સંકેત બોર્ડ લગાવવાની જરૂરિયાત વિશે ચર્ચા કરાઈ હતી. જિલ્લામાં આવેલાં વિવિધ બ્લેક સ્પોટનર્મદા જિલ્લામાં છેલ્લા 3 વર્ષના અકસ્માતના બનાવોના વિશ્લેષણના આધારે કુલ ચાર બ્લેક સ્પોટ્સ અસ્તિત્વમાં છે, જેમાં ભચરવાડા (રાજપીપલા), કણબીપીઠાથી માંચ ચોકડી રોડ (ડેડીયાપાડા), રાલ્દા બસ સ્ટોપ (દેડીયાપાડા) તથા રામેશ્વર હોટલ (દેડીયાપાડા)નો સમાવેશ થાય છે. આ સ્થળોએ સલામતી માટે પગલાં ભરવામાં આવ્યાં છે.
ભાસ્કર એક્સક્લુસિવ:દઢાલના પરિવારની દારુણ ગરીબી, મૃતક દીકરીને હોસ્પિટલના બિછાને છોડી દીધી
અંકલેશ્વરના દઢાલ ગામમાં દારૂણ ગરીબીએ એક પિતાને તેની દીકરીના મૃતદેહને સુરતની સિવિલ હોસ્પિટલમાં તરછોડી દેવા મજબૂર કરી દીધો હતો. સિવિલમાં સારવાર દરમિયાન મોતને ભેટેલી દિકરીના મૃતદેહને વતનમાં લાવવા તથા અંતિમ સંસ્કાર માટે પૈસા નહિ હોવાથી તેણે મૃતદેહને હોસ્પિટલમાં તરછોડી દીધો હતો. જેના કારણે એક પિતા મૃત દિકરીના નશ્વર દેહને મુખાગ્નિ આપી શકયાં હતાં. દઢાલ ગામ ના સાગબારા ફાટક પાસે રહેતા 22 વર્ષીય કાજલ વસાવા એક મહિના પહેલા બીમારીનો ભોગ બની હતી. તેને વધુ સારવાર માટે 18 મી નવેમ્બર સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 26 મીએ કાજલનું મૃત્યુ થઇ ગયું હતું. કાજલના મૃતદેહને સિવિલમાં તરછોડીને પરિવાર દઢાલ પરત આવી ગયું હતું. બિનવારસી મૃતદેહ હોવાથી તબીબોએ પોલીસને જાણ કરી હતી. બનાવ બાદ અંકલેશ્વર પોલીસે પરિવારને ભાડુ આપી સુરત ખાતે મોકલ્યું હતું. જયાં પોલીસને તેમણે જણાવ્યું હતું કે,અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી. સુરત સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવાએ તરત તેમના સમાજના લોકોને સોશિયલ મિડીયાથી જાણ કરતાં જોતજોતામાં મદદનો ધોધ વહેવા લાગ્યો હતો.કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે 35,000 રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડદરા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકો એ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શનિવારે સાબરકાંઠા હિંમતનગર સિવાય તમામ 7 તાલુકા પંચાયતોમાં યોજાનાર સામાન્ય ચૂંટણીઓ માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો તા.28-11-25ના રોજ આદેશ કર્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતોની મુદત પૂરી થતાં ચૂંટણી યોજવાનો સમય પાકી ગયો છે પરંતુ હિંમતનગર શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિકસિત સર્વે નંબરોનો પાલિકામાં સમાવેશ થઈ ગયો હોવાથી હિંમતનગર તાલુકા પંચાયત માટે નવેસરથી વોર્ડ સીમાંકન થનાર હોઈ કાંકણોલ નવા બલવંતપુરા સવગઢ અને પરબડામાં સૌથી વધુ મતદારોનો પાલિકામાં સમાવેશ થયેલો છે. જેથી વોર્ડ સીમાંકન બદલાવા સહિત હિંમતનગરની બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થાય તેમ છે અને આ જ વસ્તુ જિલ્લા પંચાયતમાં પણ લાગુ પડી શકે છે. જ્યારે બાકીની ઇડર,વડાલી,ખેડબ્રહ્મા , પ્રાંતિજ, વિજયનગર,પોશીના અને તલોદ તા.પં.ની વિવિધ બેઠકોનું સીમાંકન અને અનામત બેઠકોની જાળવણી માટેના આદેશ મુજબ નવા સીમાંકન સાથે અનામત બેઠકોની જાહેરાત કરાઈ છે. તલોદ તાલુકા પંચાયત વિજયનગર તાલુકા પંચાયત વડાલી તાલુકા પંચાયત ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની વિગત પોશીના તાલુકા પંચાયતની વિગત પ્રાંતિજ તાલુકા પંચાયતની વિગત
ગુજસીટોક.... આ શબ્દ લખવામાં, સાંભળવામાં અને બોલવામાં જેટલો ભારે છે એટલું જ તેનું વજન કાયદાની દૃષ્ટિએ પણ ભારે છે. આ કાયદાથી ભલભલા આરોપીનો પરસેવો છૂટી જાય છે. આજે 1 ડિસેમ્બર છે, આજથી બરાબર 6 વર્ષ પહેલાં એટલે કે 1 ડિસેમ્બર, 2019માં આ કાયદો અમલી બન્યો હતો. ગયા શુક્રવારે જ રાજકોટમાં મરઘા ગેંગના 21 સભ્યો વિરૂદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. બહુચર્ચિત ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવા માટે ઘણી પદ્ધતિમાંથી પસાર થવું પડે છે અને પડકારો પણ આવે છે. ખરેખર આ કાયદો શું છે, કેમ આરોપીઓ તેમાંથી છટકી નથી શકતા, કઇ પરિસ્થિતિમાં આ ગુનો લાગે તે વિશે વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ACP ભરત બસિયા અને જાણીતા એડવોકેટ બાબુ માંગુકિયા સાથે ખાસ વાત કરી હતી. છેલ્લાં 3 વર્ષમાં ગુજરાતમાં ગુજસીટોકના 64 ગુના નોંધાયા છે. જેમાં કુલ 493 જેટલા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં સરકારે કચ્છ, મોરબી સહિતના વિસ્તારોમાં વ્યાજખોરોના વધતા ત્રાસને ડામવા માટે સૌથી વધુ ગુજસીટોકના ગુના નોંધ્યા છે. થોડા સમય પહેલાં જ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વ્યાજખોરો પર આ કાયદા હેઠળ કાર્યવાહી કરી તેમની મિલકત જપ્ત કરીને અલગ દાખલો બેસાડ્યો હતો. ગૌ હત્યાના કેસમાં ગુજસીટોકનો ગુનોગોધરામાં ગૌ હત્યાના કેસમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેને ગુજરાતમાં ગૌ હત્યાના કેસમાં નોંધાયેલો ગુજસીટોકનો પ્રથમ કેસ માનવામાં આવે છે. જો કે તેના તપાસ અધિકારી અલગ હતા. છેલ્લા 10 વર્ષથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ગાય અને ગૌ વંશની ઉઠાંતરી કરી તેની હત્યા કરી ગૌ માંસ વેચતી ગોધરાની 9 આરોપીની ગેંગ સામે ગુનો નોંધાયો હતો. આ ગેંગ સરકારી અધિકારીઓ ઉપર પણ હુમલા કરતી હતી. નિર્દોષ લોકોને ધાક ધમકી આપવી, હુલ્લડ કરવા જેવા 45 ગુનાઓ પણ આ ગેંગના આરોપીઓ સામે નોંધાયા હતા. શુક્રવારે રાજકોટમાં મરઘા ગેંગના 21 શખસો વિરૂદ્ધ આ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગ પર મારામારી, આર્મ્સ એક્ટ, NDPS, અપહરણ અને લૂંટ જેવા 36 મોટા ગુના નોંધાયેલા હતા. થોડા દિવસો પહેલાં જ રાજકોટમાં મરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે જાહેરમાં ફાયરિંગ થયું હતું. જેના પછી કડક કાર્યવાહી કરતા પોલીસે પેંડા ગેંગ વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. હવે મરઘા ગેંગને પણ આ કાયદાના સાણસામાં લેવાઇ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ આ બન્ને ખૂંખાર ગેંગ વિરૂદ્ધ તપાસ કરી હતી. ACP બસિયાને ગુજસીટોકના નિષ્ણાત અધિકારી માનવામાં આવે છે. આ પહેલાં તેમણે ગુજસીટોકના કાયદા હેઠળ કુલ 5 ગુના નોંધેલા છે. પોલીસને વિશેષ સત્તાઓ મળી છેACP ભરત બસિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ગુજસીટોક એટલે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ, 2015. આ કાયદો 1 ડિસેમ્બર, 2019થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ આરોપીની ગુનાહિત કબૂલાત અંગેના નિયમો, મિલકત કબજે-ટાંચમાં લેવાના નિયમો છે. સંગઠિત ગુનાખોરીને નિયંત્રણમાં લાવવા માટે આ કાયદો બનાવાયો છે. આ કાયદા હેઠળ પોલીસને વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે. 'આ ગુના હેઠળ પકડાયેલા આરોપીએ SP/DCP કક્ષાના પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કોર્ટમાં માન્ય રહે છે. સામાન્ય રીતે ગંભીર ગુનામાં ચાર્જશીટનો સમય 90 દિવસનો છે. જ્યારે ગુજસીટોકના ગુનામાં 180 દિવસ સુધી લંબાવી શકાય છે. આ કેસમાં સરકારના ગૃહ વિભાગની પૂર્વ મંજૂરીથી જ વિશેષ અદાલત કોગ્નીઝન્સ લઇ શકે છે.' સૌરાષ્ટ્રની ગુજસીટોક કોર્ટ રાજકોટમાંતેમણે કહ્યું કે, ગુજસીટોકના કેસ ચલાવવા માટે સરકારે વિશેષ અદાલતની સ્થાપના કરી છે. સૌરાષ્ટ્રની ગુજસીટોક કોર્ટ રાજકોટમાં આવેલી છે. આ કેસ ચલાવવા સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણુક કરે છે. સામાન્ય રીતે ગંભીર ગુનામાં 14 દિવસના પોલીસ રિમાન્ડ મળે છે પણ ગુજસીટોકના ગુનામાં 30 દિવસના રિમાન્ડ મળે છે. કેવા-કેવા પડકારો આવે?આ કાયદા હેઠળ ગુનો નોંધતા પહેલાં ખૂબ મહેનત કરવી પડે છે. આવા કેસની તપાસમાં કેવા-કેવા પડકારો આવે છે તેના વિશે ACP બસિયાએ જણાવ્યું કે, જ્યારે આ કાયદો અમલમાં આવ્યો ત્યારે શરૂઆતના સ્ટેજમાં થોડો પડકાર હતો. જે આરોપીએ આવા ગુનાની રકમમાંથી પોતાના નામે કે કોઇ મળતિયાના નામે મિલકત વસાવેલી હોય ત્યારે તેને શોધવામાં પડકાર રહે છે પણ આવા પડકારને આસાનીથી પહોંચી જવાય છે. SIT બનાવી એક ટીમ તરીકે તપાસ કરવામાં આવે છે જેથી કામ સરળ થઇ જાય છે. 'જે ટોળકી વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવે છે તેણે અનેક ગુનાઓ કરેલા હોય છે. જેમાંથી ઘણા ગુના જૂના હોવાના કારણે તેની ફરિયાદ, ભોગ બનનારા અને તપાસ કરનારા અધિકારીનો સંપર્ક કરવાનો પડકાર રહે છે. પૂરા ખંતથી સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ મેળવીને તેનો સંપર્ક કરવામાં આવે છે. તેમજ દરેક ગુનાના પુરાવા જેવા કે ફરિયાદ, પંચનામા, નિવેદનો, મેડિકલ સર્ટીફિકેટ, FSL રિપોર્ટ, કોલ ડિટેઇલ મેળવવામાં આવે છે.' ગુજસીટોકના કાયદાથી કેવી રીતે ગુનાખોરી ઘટે છે તે વિશે તેમણે જણાવ્યું કે, સંગઠિત ગુન્હા આચરતી ટોળી વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરવામાં આવે છે અને ટોળીના તમામ સભ્યો તેમજ મદદગારો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આરોપીઓ લાંબો સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં રહે છે. જેની અસર ગુનાહિત માનસિકતા ધરાવનારા વ્યક્તિઓને પણ થાય છે. જેના કારણે ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થાય છે. આવી ટોળીના સભ્યોને જામીન મળી જાય અને તે બીજો ગુનો આચરે તો તેના જામીન રદ કરાવવાની કાર્યવાહી પણ થઇ શકે છે. જેના કારણે તે બીજો ગુનો આચરતા ડરે છે. જેમ કોઇ સિક્કાના બે પાસાં હોય છે તે જ રીતે આ કાયદાના પણ બે પાસાં છે. એક તરફ પોલીસને આ કાયદાથી વિશેષ સત્તા મળી છે તો બીજીતરફ આ કાયદાનો દૂરૂપયોગ થતો હોવાનો આરોપ કોંગ્રેસના નેતા અને એક સમયે હાર્દિક પટેલના વકીલ રહી ચૂકેલા બાબુ માંગુકિયાએ લગાવ્યો છે. ગુજસીટોકને સરળ ભાષામાં સમજાવતા બાબુ માંગુકિયા કહે છે કે, આ કાયદો સિન્ડીકેટ ક્રાઇમ કરે તેના માટે છે. ખંડણી ઉઘરાવવી, લોકોમાં ભય ફેલાવવો આ બધું કરનારા લોકોને સામાન્ય કાયદાથી કન્ટ્રોલ નથી કરી શકાતા તેના માટે આ કાયદો છે. આ પ્રકારના કાયદા અનેક રાજ્યમાં છે. સૌ પહેલાં મહારાષ્ટ્રમાં મકોકા આવ્યો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. તેઓ આગળ કહે છે કે, બંધારણના ત્રીજા ભાગમાં ફન્ડામેન્ટલ રાઇટ્સનું ચેપ્ટર છે. કોઈપણ કાયદો પાર્ટ-3ની જોગવાઇ વિરુદ્ધ ઘડી શકાય નહીં. આર્ટિકલ 20માં કહેવાયું છે કે કોઇપણ કૃત્ય કરવામાં આવે ત્યારે તે કૃત્ય ગુનો હોવો જોઇએ તો જ તેના માટે સજાની જોગવાઇનું વિધેયક પસાર કરી શકાય. '3 ચાર્જશીટની વાત દ્વિધાભરી''ગુજસીટોકમાં CONTINUOUS UNLAWFUL ACTIVITY એટલે કે સતત ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તેવું છે. આ કાયદો લગાવવા માટે છેલ્લા 10 વર્ષમાં 3 વર્ષની સજા કરતા વધુની સજાવાળી 3 ચાર્જશીટ થયેલી હોવી જોઇએ. આ સતત ગેરકાયદેસર પ્રવૃતિની એક રિક્વાયર્મેન્ટ છે. મકોકામાં પણ આ જ જોગવાઇઓ છે પરંતુ સુપ્રીમ કોર્ટે કેટલીક જોગવાઇઓથી તેને અપહોલ્ડ કર્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે 3 ચાર્જશીટની વાત છે તે 3 ચાર્જશીટ મકોકા કે ગુજસીટોકના ગુનાની હોવી જોઇએ પરંતુ તે અંગે હાલ દ્વિધાભરી સ્થિતિ છે.' 'અત્યારે કોઇપણ 3 ગુના નોંધાયેલા હોય તે પ્રમાણે કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં આ કાયદાનો દુરૂપયોગ થાય છે. જો જુગારના 3 કેસ હોય તો પણ ગુજસીટોક લગાવી દેવામાં આવે છે. દારૂના કેસ, ચોરીના કેસમાં પણ ગુજસીટોક લગાવાય છે. જેમ કે કોઇ એક વ્યક્તિએ સાયકલ ચોરી હોય તો તેની સામે સાયકલ ચોરીના 50 ગુના નોંધાઇ જાય. સાબિતી એક જ સાયકલ ચોરીની હોય પરંતુ બીજા પેન્ડિંગ 49 કેસ સોલ્વ કરવા તેના પર 50 સાયકલ ચોરીના ગુના નોંધાઇ જાય એટલે ગુજરાતમાં આગામી દિવસોમાં સાયકલ ચોરનારા પર પણ જો ગુજસીટોક લાગે તો નવાઇ ન પામતા.' જૂની ચાર્જશીટ હોય તો પણ ગુજસીટોક લગાવે છેકાયદાના દુરૂપયોગની નવી રીત જણાવતા બાબુ માંગુકિયા કહે છે કે જૂની 3 ચાર્જશીટને ધ્યાને લઇને પણ ગુજસીટોક લગાવી દેવામાં આવે છે. જો તમે 10 વર્ષ પહેલાં પણ 3 ગુના કર્યા હોય તોય તમારી સામે આજે ગુજસીટોક લાગી શકે .જ્યારે તમે ગુના કર્યા ત્યારે તો ગુજસીટોક કાયદો અમલમાં જ નહોતો. આ કાયદો 2019માં આવ્યો પરંતુ તેની પહેલાં પણ કરેલા ગુનાને આધારે ગુજસીટોક લાગી જાય. જે બંધારણના આર્ટિકલ 20ની વિરુદ્ધ છે. 'બહુ ખરાબ રીતે આ કાયદાનો અમલ થાય છે પરંતુ હવે કોર્ટ પણ સજાગ થઈ છે. પહેલાં ગુજસીટોકમાં જામીન નહોતા થતાં પરંતુ હવે કોર્ટ જામીન આપતી થઇ ગઇ છે કારણ કે, ગુના જ નથી, ખોટી FIR થાય છે.' 'ગુજસીટોકનો દુરૂપયોગ ન થાય તે માટે તેમાં જોગવાઇ કરાઇ છે કે સિનીયર પોલીસ ઓફિસરની પરવાનગી વગર FIR ન થઇ શકે પરંતુ સિનીયર પોલીસ ઓફિસર આડેધડ મંજૂરી આપે છે. SP અને DIG કક્ષાના અધિકારીઓ કાયદાનું અર્થઘટન સમજ્યા વગર અથવા તો બદઇરાદાપૂર્વક આવું કરી રહ્યાં છે. 200 મિ.લી.દારૂના કેસમાં ગુજસીટોકનો કાયદો લગાવ્યો'મેં જેને આ કેસમાં જામીન અપાવ્યા તેની પાસેથી 200 મિ.લી. દારૂ પકડાયો હતો. આ કેસમાં સેશન્સ કે હાઇકોર્ટે જામીન ન આપ્યા પણ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે આ તમારી પોલીસ છે? 200 મિ.લી દારૂમાં તમે આ ગુનો લગાવો છો?' આમ, ગુજસીટોક કાયદો સંગઠિત ગુનાખોરીને જડમૂળથી ઉખેડી ફેંકવા માટેનું એક અતિ શક્તિશાળી કાયદાકીય હથિયાર છે. તેના થકી આરોપીઓની કબૂલાત, લાંબા રિમાન્ડ અને મિલકત જપ્તી જેવી વિશેષ જોગવાઈઓ પોલીસને અસાધારણ સત્તા આપે છે. જો કે કાયદાના નિષ્ણાતોના મતે આ 'મોસ્ટ ડેકોનિયન લો'નો ઉપયોગ દારૂના નાના કેસોમાં પણ થઇ રહ્યો છે, જે ચિંતાજનક છે.
ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતાં જ શહેરના બજારોમાં તલસાની, ખજૂરપાક, સીંગ બરફી, સિંગપાક અને અડદિયો જેવી પરંપરાગત શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે કાચા માલના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, વેપારીઓ અને ગૃહ ઉદ્યોગકારોએ નફાનું ધોરણ ઘટાડીને ગ્રાહકો માટે ગયા વર્ષના ભાવે જ આ ચીજોનું વેચાણ ચાલુ રાખ્યું છે. લોકો પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે આ પૌષ્ટિક શિયાળુ વાનગીઓની ખરીદી કરી રહ્યા છે. લોકોમાં તલસાની, સિંગની બરફી અને અડદિયાની માગ વધુભાવનગરમાં દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ લોકો સ્વાસ્થ્ય બનાવવા માટે પોતાના રોજિંદા આહારમાં પણ પરિવર્તન કરતા હોય છે. ત્યારે દર વર્ષે શિયાળામાં શરીરને ગરમી સાથે યોગ્ય પોષણ આપતા શિયાળુ ખાદ્યચીજ વસ્તુઓ એટલે કે સિંગપાક, તલની સાની, ખજૂરપાક, સિંગબરફી અને દાળીયાના લાડુની માગ વધુ રહેતી હોય છે. ત્યારે ભાવનગરના આંગણે બનતા શિયાળુ ખાદ્ય વસ્તુઓની બહોળી માગ રહે છે. લોકો પોતાના ઘરોમાં પણ અને ગૃહ ઉદ્યોગ દ્વારા પણ શિયાળુ ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. લોકો સૌથી વધારે સિંગપાક તલસાની, સિંગની બરફી, અને અડદિયો વધુ પ્રમાણમાં ખરીદતા અને આરોગતા હોય છે. વેપારીઓએ નફાનું ધોરણ ઘટાડી ગયા વર્ષનો જ ભાવ રાખ્યોદર વર્ષે શિયાળુ ખાદ્યવસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે પણ કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ વેપારીઓ અને ગૃહ ઉદ્યોગકારો દ્વારા નફાનું ધોરણ ઘટાડીને ગયા વર્ષના ભાવે જ અલગ અલગ પ્રકારના સિંગપાક, તલસાની, ખજૂરપાકો સહિતની શિયાળુ ખાદ્યચીજોનું વેચાણ કરી રહ્યા છે. તેલ ઘાણીમાંથી તૈયાર થતી સાનીની ખુબ બોલબાલાભાવનગર શહેરમાં વર્ષોથી તલમાંથી બનતી સાનીની માગ વધારે રહે છે. ભાવનગરની તેલ ઘાણીમાંથી તૈયાર થતી સાનીની ખુબ બોલબાલા રહી છે. પેઢી દર પેઢી ચાલ્યા આવતા સાનીના વેપારમાં આજે પણ લોકોમાં તેલઘાણીની સાનીની માગ સૌથી વધુ જોવા મળી રહી છે. તલની સાનીની સાથે હવે તો ખજૂરની સાની પણ લોકોના આરોગ્યને આકર્ષી રહી છે. વરસાદના કારણે કાચા માલની ખરીદીમાં મોંઘવારી વધીઆ અંગે વેપારી ભરતભાઈ સરવૈયા જણાવ્યું હતું કે, 45થી 50 વર્ષથી અમે ધંધો કરીએ છીએ અને અમારી ત્રણ પેઢીનો ધંધો છે. બોર તળાવ વિસ્તારમાં આવેલી લાલ ટાંકી વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ઉભો રહું છું. તલ વરસાદના કારણે બળી ગયા, સીંગ બળી ગઈ એટલે એના કારણે બધી મોંઘવારી વધી છે બાકીનું એવું જ છે. 'અમે મીડિયમ ભાવ રાખ્યો છે એટલે ગ્રાહકોને વ્યવસ્થિત મળી રહે'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંગપાક 200 રૂપિયા કિલો, સિંગ બરફી 200 રૂપિયા કિલો, કાળા તલની સાની 280 રૂપિયા કિલો, સફેદ તલની સાની 240 રૂપિયા કિલો, ખજૂર પાક 280 રૂપિયા કિલો, મમરાના લાડુ 20 નંગના 20 રૂપિયા, દાડિયાના લાડુ 200 રૂપિયા કિલો, તલના લાડુ 280 રૂપિયા કિલો, સિંગલાડુ 200 રૂપિયા કિલો આ સહિતની દરેક વસ્તુઓ અમારી ત્યાંથી મળી રહે છે. ભાવમાં વધારો તો વધારે છે પણ અમે નથી રાખ્યો અમે મીડિયમ ભાવ રાખ્યો છે કારણ કે અમારા ગ્રાહકને સરેરાશ બધું વ્યવસ્થિત મળી રહે. 'આ વર્ષે ઠંડી પણ ઓછી છે ને મંદીનો માહોલ છે'આ વખતે સિઝનની એટલી બધી ખાસ શક્યતા નથી રાખવાની કેમકે ઠંડીનું પ્રમાણ ઓછું છે ગયા વખતે બહુ સારું હતું આ વખતે થોડુંક ડીમ પડે છે કેમકે ઠંડી નથી પડતી બફારાની અસર વધારે છે. આ વખતે મંદીનો માહોલ બહુ જ છે કેમકે કોઈપણ ઉદ્યોગ ચાલુ નથી થયા. હીરામાં રત્નકલાકારો બેકાર બની રહ્યા છે એટલે એમના કારણે બધું વેપાર ધંધામાં થોડુંક મુશ્કેલી પડશે.
'મોત બાદ એના અગ્નિસંસ્કાર કરવાને બદલે લાશને ગામના પાદરે જઈ દોરડે ખાટલો બાંધી ઝાડ પર લટકાવી દે અને વેરની વસૂલાત શરૂ થાય. બાદમાં બીજા કબિલાના જે આરોપીઓ છે અથવા તો કોઈના પર ફક્ત શંકા છે તો એમની સાથે પહેલાં સમાધાન કરવાનો પ્રયત્ન કરશે. જો ફક્ત એક માગણી પણ પૂરી ન થઈ તો બદલો લેવા મૃતકના પરિવારનો કબીલો, જે આરોપી પર શંકા છે, એના ઘરે જશે અને આખું ગામ સળગાવશે. એ સળગેલા ગામનાં ઘરોમાંથી જ લાકડાં લઈ એમના જ ગામના ચોકમાં પોતાના સ્વજનની લાશના અંતિમ સંસ્કાર કરશે.' આ શબ્દો છે રાજેન્દ્ર બી. બ્રહ્મભટ્ટના. ગુજરાતના રિટાયર્ડ એડિશનલ DGP (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ). આજથી આપણે વાંચીશું દિવ્ય ભાસ્કરની નવી સીરિઝ, ‘IPS ડાયરીઝ’. જેવું નામ એવું જ કામ, એવી જ સીરિઝ. આજથી છ દિવસ રોજેરોજ ગુજરાતના છ અલગ અલગ જાંબાઝ સિનિયર IPS ઓફિસરોને આપણે મળીશું, અને એમની પાસેથી એમના જ કરિયરના મોસ્ટ થ્રિલિંગ અને ચેલેન્જિંગ કેસ વિશે જાણીશું. એ સમય, એ પ્રદેશ, એ કેસ, એ ચેલેન્જ, એ ઇન્વેસ્ટિગેશન અને એ કેસ સોલ્વ કરવાની મેથડ; દરેક IPS એમના દરેક અનુભવ એમના જ શબ્દોમાં આપણને કહેશે. આજે પહેલા એપિસોડમાં વાત છે, ગુજરાતના મોસ્ટ રિસ્પેકટેડ IPS ઑફિસર આર. બી. બ્રહ્મભટ્ટની… જેઓ યાદ કરે છે એ સમય, જ્યારે 6-6 મહિના સુધી લાશ ઝાડવાં પર લટકતી રહેતી! રાષ્ટ્રપતિના હસ્તે ગેલેન્ટરી એવોર્ડ મળ્યો 1964માં મહેસાણામાં જન્મેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ 1990ના માર્ચમાં DySPની સીધી ભારતીથી પોલીસ ફોર્સમાં જોડાયા હતા. શરૂઆતમાં મહેસાણાથી જ ટ્રેનિંગ લઈ, SDPO (Sub-Divisional Police Officer - નાયબ પોલીસ અધિક્ષક) તરીકે પાલનપુર, અમદાવાદ સિટી - D ડિવિઝન, જામનગર ગ્રામ્ય અને થરાદમાં ફરજ બજાવી. થોડાં વર્ષોની સર્વિસમાં જ DySP તરીકે જોડાયેલા આર. બી. બ્રહ્મભટ્ટનું IPS તરીકે પ્રમોશન થયું અને SP તરીકે પહેલું પોસ્ટિંગ મળ્યું અમરેલીમાં, બાદમાં SP બનાસકાંઠા, SP CID ક્રાઇમ, SP અમદાવાદ ગ્રામ્ય, SP ગાંધીનગર, SP રાજકોટ ગ્રામ્ય અને SP સાબરકાંઠા તરીકે ફરજ બજાવી. પોતાના ધારદાર કરિયરના કારણે બાદમાં DIG અને IG તરીકે પણ પ્રમોશન થયું, જેમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો અમદાવાદ રેન્જ IG તથા ગાંધીનગર રેન્જ IG તરીકે પણ સર્વિસ આપી. કોવિડ વખતે સુરત CP તરીકે, બાદમાં વડોદરા CP તરીકે ફરજ બજાવી આખરી વર્ષોમાં ADGP તરીકે ઇન્ક્વાયરી અને CID ક્રાઇમ તરીકે ફરજ બજાવી અને ગયા વર્ષે જુલાઇ 2024માં તેમણે CID IB (ઇન્ટેલિજિન્સ બ્યૂરો)ના ADGP તરીકે નિવૃત્તિ લીધી. બ્રહ્મભટ્ટ સાહેબને અક્ષરધામ હુમલા વખતે રાષ્ટ્રપતિ તરફથી ગેલેન્ટરી એવોર્ડ પણ મળ્યો હતો અને બાદમાં પણ ઘણાં એવોર્ડ મળ્યા. પૂરા કરિયરમાં પોલીસ વિભાગના લગભગ બધાં જ મેડલો તેમને મળી ચૂક્યા છે. અક્ષરધામ હુમલા વખતે તેમણે પોતાના શરીર પર આતંકવાદીઓની ગોળી પણ ખાધી હતી. *** બ્રહ્મભટ્ટ સર, તમારી કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ ક્યો હતો? નિવૃત્ત IPS આર. બી. બ્રહ્મભટ્ટે પોતાની આખી કરિયરને આંખ સામેથી પસાર થતી જોતા હોય તે રીતે ઊંચે જોઇને વાતની શરૂઆત કરીઃ ‘અક્ષરધામ હુમલા વખતે આતંકીની ગોળી વાગી, ટાંકા લઇને ફરી હાજર થઇ ગયો’ ‘જ્યારે પણ મારા કરિયરની વાત કરું ત્યારે સૌથી વધુ ચેલેન્જિંગ અને સેન્સિટિવ કેસ હર હંમેશ માટે અક્ષરધામ હુમલો જ રહ્યો છે. 24 સપ્ટેમ્બર 2002નો એ દિવસ ક્યારેય નહીં ભુલાય. એ સમયે હું ગાંધીનગર ઇનચાર્જ SP હતો. એ સમયે આખું ઓપરેશન અમે જ હેન્ડલ કર્યું હતું, અને એ બધામાં આતંકીઓની AK-47ની ગોળી મેં પણ ખાધી હતી. ગંભીર રીતે ઘાયલ થઈને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું, પણ ગોળી હાથમાં વાગી હતી એટલે હું બચી ગયો. મારા જીવને ખતરો નહોતો થયો અને આતંકીઓને પકડવાના હતા એટલે સ્ટિચીસ લઈ ફરી પાછો ફરજ પર ભાગ્યો અને આખું ઓપરેશન પાર પાડ્યું. પરંતુ આ કેસ વિશે હું ઘણી વાર ઘણી જગ્યાએ બોલી ચૂક્યો છું, ઘણા મીડિયામાં, ઘણાં પુસ્તકોમાં ઘણા TV ઇન્ટરવ્યૂઝમાં બહુ બધી જ જગ્યાએ એટલું લખાઈ/બોલાઈ ચૂક્યું છે. તો આજે આપણે એ વિશે વાત કરવાનું ટાળીએ, અને તમને બીજા એક હચમચાવી દેતા કેસ વિશે વાત કરું.’ બાજુના ગામમાં ઝાડ પર એક લાશ લટકે છે... આજથી 27-28 વર્ષ પહેલાંની વાત છે. ઓક્ટોબર 2007માં મારું પોસ્ટિંગ બનાસકાંઠા SP તરીકે થયું જ હતું. ત્યાં એકાદ મહિનામાં મારી સામે ત્યાંની એક પ્રથા આવી, ચડોતરાની પ્રથા. હું એક ક્રાઇમ સીન પર જતો હતો ત્યાં મારી પાસે બાતમી આવી કે, અહીં બાજુના ગામમાં એક ઝાડ પર લાશ લટકી રહી છે. હું જ્યારે પોશીના બાજુ SDPO હતો, ત્યારે મેં આ પ્રથા વિશે સાંભળ્યું હતું, એટલે સમજી ગયો કે, અહીં ચડોતરુંની પ્રથા ચાલુ છે. ચડોતરું એટલે આદિવાસી પ્રજાની એક જૂની પણ ક્રૂર અને અમાનવીય પરંપરા! જેમાં એ લોકો પોતાના જ પરિવારના કોઈ સભ્યની લાશ ઝાડ પર લટકાવી રાખે છે. આ પ્રથા કંઈક એવી છે… *** ગામમાં કોઈ વ્યક્તિની હત્યા થાય કે ઇવન હત્યાની શંકા હોય, તો તે મૃતકના અંતિમ સંસ્કાર ન કરે. બદલો લેવા મૃતકના પરિવારનો કબીલો, જે આરોપી પર શંકા હોય, એના ઘરે જાય. જેમાં ફક્ત એ આરોપી જ નહીં, પણ એના આખા પરિવારને અને ઘણા કિસ્સાઓમાં તો એ પૂરા ગામના બધાં જ ઘર સાથે લડશે અને આખું ગામ સળગાવશે. આખું ગામ સળગાવી બાદમાં એમનાં જ ઘરોમાંથી લાકડાં લઈ, એમના જ ગામના ચોકમાં પોતાના સ્વજનની લાશના અંતિમ સંસ્કાર કરશે. ત્યારે જઇને એમને સંતોષ થશે કે અમે અમારા પરિવારના સદસ્યનો બદલો લીધો. આ પ્રથામાં ઘણી વાર તો જે આખો કબીલો સળગાવ્યો હોય એમાંથી કોઈ એકનો પણ વાંક નથી હોતો, ખોટી શંકાને આધારે કેટલાય પરિવારોને ઉઝાડી મૂકવામાં આવતા. બદલો લેવામાં ભલે અઠવાડિયાં કે મહિનાઓ વીતી જાય, પરંતુ મૃતકની લાશ એક ખાટલા પર સૂવડાવીને ગામના ઝાડ પર લટકાવી રાખે. *** ચડોતરું પ્રથાઃ વેરનાં વળામણાંની સૈકાઓ જૂની લોહિયાળ પ્રથા આદિવાસી પ્રજાની ચડોતરુંની પ્રથા સદીઓ પહેલાં ન્યાય માટે શરૂ કરવામાં આવી હતી, પણ બાદમાં ધીમે ધીમે વર્ષો વીતતાં ‘ચડોતરું’ વેરની વસૂલાતની પ્રથા બની ગઈ. આદિવાસીઓ ગ્રૂપમાં રહેવા ટેવાયેલા છે, જે મોટેભાગે કબીલાઓ તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ એક ગ્રૂપમાં એક સભ્યનું મર્ડર અથવા તો કોઈ રીતે એક્સિડેન્ટલ મોત થાય, એટલે ચડોતરું શરૂ થાય. પોતાના સદસ્યના મોત બાદ એમના અગ્નિસંસ્કાર કરવાને બદલે પોતાના જ માણસની લાશને ગામના પાદરે જઈ ઝાડ પર લટકાવી દે અને વેરની વસૂલાત શરૂ થાય. બાદમાં બીજા કબીલાના જે આરોપીઓ છે અથવા તો કોઈ પર ફક્ત શંકા છે તો એમની સાથે પહેલાં સમાધાન કરવાનો પ્રયત્ન કરશે. જેમાં પંચને હાજર રાખી બંને પક્ષ પોતપોતાની વાત મૂકશે અને માગણીઓ કહેશે. જો માગણીઓ સંતોષાઇ જાય તો લાશ ઊતરી જશે અને અગ્નિસંસ્કાર કરી વાત પૂરી થશે. પણ જો સમાધાન ન થયું અથવા ફક્ત એક માગણી પણ પૂરી ન થઈ તો મુશ્કેલી વધે. ઝાડ પર લટકતી લાશ એટલે ‘મુદ્દો’, 5 મહિનાથી લટકતો ‘મુદ્દો’ મૃતકની લાશને ગામના પાદરે લટકાવી રાખી હોય એ લાશને એ લોકો ‘મુદ્દો’ કહે. પોલીસને કે કોઈને પણ એ મુદ્દાનો નિકાલ ન કરવા દે. એમનું માનવું હોય છે કે, જો આ મુદ્દાનો નિકાલ થઈ ગયો તો અમારું વેર ફોગટ જશે, એટલે મુદ્દાનો નિકાલ નહીં થાય. હવે મારું જ્યારે પોસ્ટિંગ થયું ત્યારે પોશીનાના એક ગામમાં પાંચ મહિનાથી એક લાશ લટકતી હતી. હું સમજી ગયો કે, અહીં ચડોતરું ચાલુ છે. મેં તરત જ DySP અને PSIને બોલાવીને રિપોર્ટ મંગાવ્યા કે, પોલીસે અત્યાર સુધી આ લાશ બાબતે શું એક્શન લીધાં છે? મને જવાબ મળ્યો કે, એ ગામલોકોની પ્રથા છે, એટલે એ લોકો નિકાલ નહીં કરવા દે. મને ગુસ્સો આવ્યો કે, 5 મહિનાથી લાશ લટકે છે અને નિકાલ કરશે પણ નહીં અને કરવા પણ નહીં દે? હું ખિજાયો કે, નહીં કેમ કરવા દે? કાયદાનું શાસન છે, જે કંઈ વિધિ કરવાની થશે એ વિધિ સાથે લાશ ઉતારી પોસ્ટમોર્ટમ કરાવો અને લાશનો નિકાલ કરો. બીજા જ દિવસે જિલ્લાનું પૂરતું પોલીસદળ એકઠું કર્યું, કલેક્ટરને પણ ત્યાં સ્થળ પર બોલાવ્યા, એમની મંજૂરીની જ્યાં જ્યાં જરૂર હતી, એ મંજૂરી લીધી, લાશ ઉતારી અને પોસ્ટમોર્ટમ કરી અગ્નિસંસ્કાર કરાવ્યા. ડોશીમાનું ઘર પડ્યું ને આખું ગામ સળગાવવાની વાત આવી થોડાં જ મહિનામાં ત્યાં ફરી આવી ઘટના બની. પોશીના પાસે ત્યાં બાજુના જ એક ગામમાં 70 વર્ષનાં ડોશીમા રહેતાં. રાત્રે ધોધમાર વરસાદ પડ્યો એમાં એ માજીનું માટીનું કાચું મકાન પડી ગયું અને એમનું મોત થયું. માજી મૂળ રાજસ્થાનનાં. એટલે રાજસ્થાનથી એમના ઘરેથી 60-70 લોકોનું ટોળું અહીં ગામડે ધસી આવ્યું અને માજીના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું કે, ‘તમે જો પાકું મકાન બનાવ્યું હોત તો અમારાં માજીનું મોત ન થાત. તમે કાચું મકાન રાખ્યું એમાં માજીનું મોત થયું.’ હવે કાચું મકાન કે પાકું મકાન એ તો દરેકની આર્થિક પરિસ્થિતિની વાત છે. પણ આ પરિસ્થિતિમાં પણ એમણે ચડોતરું કર્યું. આ બધામાં એમનો મૂળ આશય પૈસા પડાવવાનો જ હોય. ઘણી વાર તો મૃતકનો પરિવાર પણ અગ્નિ સંસ્કાર માટે માની જાય પણ એના આગેવાનો ઉશ્કેરે કે આપણે ચડોતરું કરવું જ જોઈએ. લાશને દોરડાથી બાંધી ઝાડ પર 15-20 ફૂટ ઊંચે લટકાવી દે. ઘણા કિસ્સાઓમાં એ લોકો લાશ ઉતારવાની ના પાડી દે અથવા તો લાશ સ્વીકારવાની ના પાડી દે, જ્યાં સુધી અમારી માગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમે ચડોતરું રાખીશું જ. એક વ્યક્તિનો બદલો લેવા ઘર સળગાવ્યાં હોય, એમાં થયેલાં મોતનો બદલો લેવા ફરી એમનું ચડોતરું થાય અને પ્રથા ચાલુ ને ચાલુ રહે, આ તો કેમ ચલાવી લેવું? ‘તમે કાયદો હાથમાં લેશો, તો અમે હાથમાં દંડો લેશું’ મેં કડકાઇથી કહી દીધું કે, આમાં કોઈ જ વાત માનવામાં નહીં આવે. કાયદો કાયદાનું કામ કરશે, તમારે જો કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ આપો, બાકી આ રીતે તો લાશ લટકાવવા નહીં જ દઈએ. તમારી ફરિયાદ આવશે તો અમે એક્શન લઈશું અને જે કોઈ પણ કસૂરવાર હશે એ દરેકને અમે સજા પણ કરાવીશું, પણ તમે આ પ્રથા ચાલુ નહીં રાખી શકો. પરંતુ એ લોકો કોઈ કાળે માનવા તૈયાર નહોતા. અંતે અમે સ્ટ્રિક્ટ પગલાં લેવાની શરૂઆત કરી. જરૂર પડ્યે બળપ્રયોગ પણ કર્યો. જ્યાં લાશ દેખાય એટલે ઉતારી અમે જ અગ્નિ સંસ્કાર કરી નાખીએ. કોઈ જો ઘર સળગાવે તો એની સામે IPCની ગંભીર કલમોથી ગુનો દાખલ કરીએ. ગુનેગારો હોય એને જેલમાં નાખી કડક સજા પણ અપાવીએ. અંતે એ પ્રથા બંધ થઈ. ક્યાંય કોઈનો અંદરોઅંદર ડિસ્પ્યુટ (ડખો) હોય તો સામેથી અમારી પાસે આવતા થયા કે, ‘સાહેબ, આ માટે અમે પંચ કરી ભેગા થઈએ છીએ. અમે કાયદા વિરુદ્ધ કોઈ કૃત્ય નહીં કરીએ અને જલદીથી જલદી આ સમસ્યાનો ઉકેલ આવે એનું પૂરતું ધ્યાન પણ રાખીશું. અમે ભેગા થઈએ તો અમારી સામે કોઈ એક્શન ન લેતા. મેં કહ્યું કે, જો તમે સામાજિક અને શાંતિમય રીતે પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય તો અમને શો વાંધો હોય? પણ કાયદો હાથમાં લેશો તો અમે દંડા હાથમાં લઈશું. બે ટેકરી પર સેંકડોનાં ટોળાં એકઠાં થાય, ત્રીજી ટેકરી પર પોલીસ ધ્યાન રાખે સમાધાન કરવાની પણ એમની આખી અલગ પ્રથા હતી. ત્યાં ટેકરી વિસ્તાર વધુ. એટલે એ બંને ટોળાં સામસામે બે ટેકરીઓ પર ભેગા થાય. એક ટેકરી પર 50-100 લોકોનું એક ટોળું અને બીજી ટેકરી પર બીજું ટોળું. આ બધામાં કોઈ કાયદો ન ખોરવાય એ માટે બંને બાજુ ધ્યાન રાખવા ત્રીજી ટેકરી પર પોલીસ પણ બેસે. 20-25 દિવસ સુધી આખો આખો દિવસ એ લોકોની વાટાઘાટો ચાલે અને છેલ્લે જો સમાધાન ન થાય તો અલગ પડે અને પૈસા મળવાની રાહ જુએ અને છેલ્લે વર્ષોના અંતે ઘર સળગાવવા પર આવી જાય. આ કેસમાં મહત્ત્વનું એ જ હતું કે, મેં એક્શન લઈ ગુના દાખલ કર્યા અને કાયદાનું ભાન કરાવ્યું. મારી પહેલાં પણ ત્યાં આ પ્રથા ચાલુ જ હતી, પણ જેમ મને મારી નીચેના ઓફિસરોએ કહ્યું કે, ‘એ લોકોની પ્રથા છે, એ માનતા નથી.’ આગળનાં વર્ષોમાં બધા એવું જ માનતા કે, જો આમને આપણે એમની પ્રથાનું પાલન કરતાં રોકીશું તો કાયદો અને વ્યવસ્થા જોખમાશે, આપણા માણસો (પોલીસમેન)ને પણ નુકસાન થશે અને ઉપર જવાબ પણ આપવો પડશે, એના કરતાં જે ચાલે છે એ ચાલવા દઈએ. એવું સમજીને કોઈ એક્શન જ નહોતું લેતું. મેં એક્શન લેવાની શરૂઆત કરી અને એ પ્રથા બંધ થઈ. કોઈ જ રિએક્શન નહોતું આવ્યું, કોઈ જ ઉશ્કેરાયું નહોતું, ઊલ્ટાનું એમના આગેવાનો તરફથી ભલામણો આવવાની શરૂઆત થઈ કે અમે રજૂ થઈ જઈશું, કોઈ એક્શન ન લેતા. ઘણા આરોપીઓને તો એ લોકો સામેથી જ સરન્ડર કરાવી ગયા ને અંતે એ પ્રથા સાવ બંધ થઈ. ઘણી વાર કોઈ પણ પૂર્વ વિચારધારણા બાંધવા કરતાં માન્યતા ભૂલી પ્રેક્ટિકલ કરી લેવું જોઈએ. જો સાચા છીએ, તો જે થશે એ જોયું જશે. ને આમ 100-150 વર્ષથી ચાલતી પ્રથાનો 6-8 મહિનામાં અંત આવ્યો.’ *** પોલીસની એક્શન ચપળતાથી કેવી રીતે મોટો કેસ સોલ્વ થઈ શકે છે, એ વાત કરતાં કરતાં IPS આર. બી. બ્રહ્મભટ્ટે બીજો કેસ ઊખેળ્યો ગાંધીનગરનો. સાહેબે વાત ચાલુ કરી... *** સરકારી કચેરીઓમાંથી કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક ચોરાવા લાગી વાત છે 2003ની, એ ટાઈમે હું ગાંધીનગર SP હતો. મારું પોસ્ટિંગ હજુ ત્યાં થયું જ હતું. ગાંધીનગરમાં શેરીએ શેરીએ સરકારી ઓફિસો જ છે, અને એ ટાઈમે હજુ કમ્પ્યૂટરની નવી નવી શરૂઆત થતી હતી, તો દરેક સરકારી કચેરીમાં એક કમ્પ્યૂટર રૂમ રહેતો, જ્યાં રોજબરોજનું આખી ઓફિસનું કામ એ એક જ કમ્પ્યૂટરમાં થાય. એ કમ્પ્યૂટર ઓપરેટ કરવા પણ 7-8 જણાની ટીમ હોય. જે બધો જ ડેટા ટાઈપ કરી કરીને કમ્પ્યૂટરમાં એડ કરતા રહેતા હતા. ત્યાં થોડા દિવસોમાં ગાંધીનગરમાં એક ગેંગ એક્ટિવ થઈ. ગેંગ ન કોઈને લૂંટે કે ન કોઈનું મર્ડર કરે, એ ફક્ત દરેક કચેરીમાં ઘૂસી, એમનાં કમ્પ્યૂટરમાંથી હાર્ડ ડિસ્ક ચોરી જાય. અને એ પણ સેઇમ પેટર્નથી, દર શનિ-રવિમાં કોઈ ને કોઈ સરકારી કચેરીમાંથી હાર્ડ ડિસ્કની ચોરી થાય. હાર્ડ ડિસ્કની ચોરી થાય એટલે કમ્પ્યૂટરમાં રહેલો બધો જ અગત્યનો અને સંવેદનશીલ ડેટાબેઝ જતો રહે, મહિનાઓની મહેનત પાણીમાં જાય અને હાર્ડ ડિસ્ક જતી રહે એટલે કમ્પ્યૂટર પણ નકામું થઈ જાય. ઉપરથી એ ટાઈમે તો હાર્ડ ડિસ્ક કોઈ પાસે મંગાવવી અને મંગાવ્યા પછી કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરવા માટે નિષ્ણાત કારીગર શોધવો એ પણ માથાનો દુખાવો. બે-ત્રણ મહિનામાં તો આઠથી દસ આવા બનાવો બની ગયા. ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો બધો ડેટા ચોરાઈ ગયો! અમે નાઈટ પેટ્રોલિંગ વધાર્યું, તપાસ તેજ કરી, પણ ક્યાંય કોઈ ખૂણેખાંચરે પણ એક ક્લુ ન મળે. કેમ કે એ ટાઈમે તો સિટીમાંય ક્યાંય CCTV કેમેરા નહોતા. સરકારી કચેરીઓમાં પણ ક્યાંય નહીં અને કોઈનાં ઘરે પણ નહીં. હજુ તો આ બધી ટેક્નોલોજી વિશે બધાને માહિતી મળતી થઈ હતી. સિક્યોરિટી ગાર્ડ મોટે ભાગે બધી જગ્યાએ હતા જ, પણ એ લોકોનો એ જ ટિપિકલ જવાબ રહેતો કે, ‘સાહેબ, 12 વાગ્યા પછી અમને થોડું ઝોંકું આવી ગયું હતું.’ સરકારી કચેરીઓની હાર્ડ ડિસ્ક ચોરવાના બનાવો દિવસે ને દિવસે વધતા ગયા. આ બધાની વચ્ચે એક દિવસ એ લોકોએ ધાડ પાડી FSLની લેબોરેટરીમાં. ફોરેન્સિકમાં એ વખતે બધા ગુનેગારોનો ફિંગરપ્રિન્ટથી લઈને જે મળે એ બધો જ ડેટા સ્ટોરેજ કરવાનું કામ ચાલુ હતું. 8-10 લોકો મળી 6-7 મહિનાઓથી રાત-દિવસ જાગી બધો ડેટા ડિજિટલ કરવા મંડી પડ્યા હતા. ને એક રવિવારે આ ગેંગે ત્યાં ત્યાંથી બધાં જ કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક ચોરી લીધી. સોમવાર સવાર પડતાંની સાથે જ તત્કાલીન FSL ડાયરેક્ટર વ્યાસ સર (હાલ NFSUIના ડાયરેક્ટર) દોડતાં દોડતાં મારી પાસે આવ્યા ને ખૂબ જ ટેન્શનમાં, ‘સર, મહિનાઓની મહેનત પાણીમાં ગઈ છે.’ આ વખતે ફક્ત ડેટા કે પૈસાની ચિંતા નહોતી, પણ ચિંતા હતી ડેડલાઇન અને માણસોની મહેનતની. મહિનાઓથી આખા FSLના બધા જ જાણકારો જે ડેટા સ્ટોર કરતા હતા, એ દરેક પાસે બધી જ મજૂરી ફરી કરાવવી પડશે, જેથી આ આખો પ્રોજેક્ટ મહિનાઓ સુધી ખોરંભે ચડી થશે. અમારું પણ ટેન્શન વધ્યું. મેં સ્પેશિયલી આ કેસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવી અને મારા બેસ્ટ ઓફિસરોને આ કેસ પાછળ લગાવ્યા. છાપાના એક સમાચાર પર ધ્યાન ગયું આ બધાની વચ્ચે મારા ટેબલ પર મને એક જૂનું અખબાર દેખાયું. નાસ્તો કરતાં કરતાં મારું ધ્યાન ત્યાં પડ્યું અને મારો અડધો કેસ સોલ્વ થઈ ગયો. છાપામાં સમાચાર હતા કે, મહેસાણાની ગણપત વિદ્યામંદિરની એક કમ્પ્યૂટર લેબના બધાં જ કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક ચોરાઇ ગઈ હતી. હું સમજી ગયો કે, આ એ ગેંગનું જ કામ છે. એ ટાઈમે મારી સાથે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ના PI બી. એન. બારોટ હતા. મેં એમને તાત્કાલિક ધોરણે મહેસાણા મોકલ્યા, ‘જાઓ, અને પૂરી તપાસ કરીને આવો, આપણા કામનું કશુંક મળી જાય તો...’ બારોટ હોંશિયાર અને ચપળ PI. એને કામ સોંપ્યું હોય એટલે જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી એને ધરપત ન થાય. ચતુર, સચેત અને ચાલાક. STD-PCOની નાનકડી ચબરખીએ કેસ સોલ્વ કરી આપ્યો PI બારોટ મહેસાણા ગયા અને તપાસ ચાલુ કરી, કેસ ફાઈલ તપાસવાની શરૂઆત કરી. એ કેસને લગતા બધા જ ડોક્યુમેન્ટ અને ક્રાઇમ સીન પરથી મળેલી તમામ વસ્તુઓ તપાસી. એમાં એમને ધ્યાને એક STD ફોનબૂથની ચબરખી મળી. એ ટાઈમે મોબાઈલ તો હતા નહીં એટલે જ્યાં જ્યાં STD બૂથ હોય ત્યાંથી જ ફોન કરવા પડતા અને એ બૂથ પર વાત કરી લો એટલે બિલ જેવી એક ચબરખી નીકળતી. આપણને અત્યારે પેટ્રોલ પંપ પર બિલ આપે એવી જ સેમ ટુ સેમ. એ ફોનની ચબરખી વિશે બારોટે પૂછ્યું કે, આ શું છે અને ક્યાંથી મળી? તો ત્યાંના PI કહે, ‘ખબર નહીં, રાઇટરે મૂક્યું છે, શું હોય તે ખ્યાલ નથી.’ બારોટે રાઇટરને બોલાવ્યા. તો રાઇટરનો પણ સેઇમ જવાબ, ‘ખબર નહીં સાહેબ, ત્યાં પડ્યું હતું તો મેં ફાઇલમાં મૂકી દીધું.’ ‘ખબર નહીં સાહેબ, એને કોઈ લોટરી લાગી હોય એવું લાગે છે’ બારોટને એમાં રસ પડ્યો. એમણે એ ચિઠ્ઠી ઉપાડી લીધી અને એ લઈને મારી પાસે ગાંધીનગર આવી ગયા. એ બિલમાં ક્યાં ફોન કર્યો એ નંબર અને કેટલી વાર વાત થઈ એ બધું લખેલું હોય. મને એ નંબર પર થોડી શંકા ગઈ. BSNLમાં મારા સોર્સ લગાવી ત્યાંથી એ નંબરનું લોકેશન કઢાવ્યું અને ત્યાં PI બારોટની ટીમને વૉચ પર લગાવી. એક જ માળનું અગાશીવાળું એક સાધારણ ઘર હતું. ઘરે કોઈ જાહોજલાલી નહીં, સાધારણ પરિસ્થિતિ, પણ ઘરનો જુવાન છોકરો રોજ બુલેટ પર ફરે, આખો દિવસ ફુલ જલસાવાળી લાઈફ જીવે. એના પર અમને થોડો ડાઉટ ગયો, તો આજુબાજુવાળાને પૂછ્યું કે, આ શું કામધંધો કરે છે? તો જવાબ મળ્યો કે, ‘કંઈ કામધંધો નથી કરતો, પણ ખબર નહીં, છેલ્લા છએક મહિનાથી જલસા છે, કંઈક લોટરી-વોટરી લાગી હોય એવું લાગે છે.’ PI બારોટે એ જ દિવસે એ છોકરાને ઉઠાવી લીધો અને પોલીસ સ્ટેશન લાવી ઇન્ટ્રોગેશન ચાલુ કર્યું. છોકરાએ પોલીસ સ્ટેશનની ખુરશી પર બેસતાંવેંત જ કબુલી લીધું કે, ‘હા, ગાંધીનગરની બધી જ ચોરી મેં જ કરી છે. અમારી કોઈ ગેંગ નથી. અમે બે મિત્રો મળી, હાર્ડડિસ્ક ચોરીએ છીએ અને ભંગારમાં વેચી દઈએ છીએ. અમારા માટે તો ખાલી એ ભંગાર જ હતું, પણ અમને એવું કે, કમ્પ્યૂટરની અંદરથી આટલું અમથું ચોરીએ તો કોઈને ધ્યાન પણ નહીં જાય.’ આટલી મહત્ત્વની વસ્તુ એના માટે સાવ ભંગાર જ હતો! બસ, ત્યારથી એ હાર્ડ ડિસ્ક ચોરાતી બંધ થઈ ગઈ. કહેવાનો આશય એ છે કે, જો પોલીસ ઇન્સ્પેક્ટર જો પોતાની સૂઝબૂઝથી કામ કરે તો કેસ સોલ્વ કરવા બહુ જ સહેલા છે. ટેબલ પર પડેલા એક જૂના ન્યૂઝ પેપર અને એક કચરા જેવી નાનકડી ચબરખીએ આખો કેસ સોલ્વ કરી નાંખ્યો. પણ હાલ દરેક કેસ પર પોલીસનું એટલું ધ્યાન જ નથી હોતું, જેના કારણે કેસ સોલ્વ કરવામાં દિવસો ને મહિનાઓ નીકળી જાય છે. *** સવાલ : તમે DySPથી લઈ DGP સુધીના દરેક રેન્ક પર રહી મોટા ભાગની પોસ્ટ પર કામ કરી ચૂક્યા છો. તમારા મત મુજબ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યારે શું ઘટે છે? IPS બ્રહ્મભટ્ટ : ખાસ તો ઇન્વેસ્ટિગેશન પાર્ટ. અત્યારે જે યુવાન ઓફિસર્સ આવે છે, ઇન્વેસ્ટિગેશનમાં એમને એટલો રસ જ નથી હોતો. જૂના સમયમાં ખૂબ જ સારા રાઇટર્સ હતા, ખૂબ સારા અધિકારીઓ હતા, જે ગુનાની જડ સુધી ગમે તે રીતે જલદીથી જલદી પહોંચી જતા. પણ અત્યારે મને પર્સનલી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે, ગુના શોધવાની ગંભીરતા થોડી ઓછી થઈ ગઈ છે. સવાલ : એની પાછળનું કારણ શું? IPS બ્રહ્મભટ્ટ : કારણ એ જ કે, અત્યારે પોલીસ પાસે મલ્ટિટાસ્કિંગ કામની અપેક્ષા વધી ગઈ છે. અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં બંદોબસ્તમાં લગાવી દેવામાં આવે છે. પછી એ ધાર્મિક બંદોબસ્ત હોય કે રાજકીય. વસ્તી વધે એમ ગુનાઓની સંખ્યા પણ અઢળક વધતી રહે છે. ગુનાખોરીની પેટર્ન પણ અત્યારે ઘણી બદલાઈ ગઈ છે. સાયબર ક્રાઇમનો વ્યાપ એટલો વધી ગયો છે કે, કલ્પના બહાર છે. હવે એ માટે તમારું ટેક્નિકલ જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી છે. હવે જો અધિકારીને જ એટલું ટેક્નિકલ જ્ઞાન નહીં હોય તો એ કેવી રીતે ગુના ડિટેક્ટ કરાવશે? સવાલ : પર્વત પર ઊભાં ઊભાં નીચેનું ગામ જોતા હોઈએ, એ રીતે અત્યારે તમારા કરિયર પર નજર કરો તો શું દેખાય છે? IPS બ્રહ્મભટ્ટ : ખૂબ જ સંતોષ! મને જેટલું કામ સોંપ્યું, એમાં મેં મારી પોતાની રીતે જે જે નવીનતા લાવીને મારી રીતે કામ કર્યું અને એટલી રોકટોક ન નડી, એ બદલ પૂરતો સંતોષ છે. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મારા પર ક્યારેય કોઈ ડાઘ નથી લાગ્યો અને સમાજ પ્રત્યેની મારી જવાબદારી સારી રીતે વહન કરી. કામ લીધું પણ એટલું અને કર્યું પણ એટલું. એટલે પૂરતા સંતોષ સાથે ખુશ છું.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
ચાલકો ત્રાહિમામ:જાલેટી ત્રણ રસ્તાથી વાઘળીયા વડલાચોક સુધી માટી અને પથ્થરના ઢગલા
વિજયનગરના જાલેટી ત્રણ રસ્તાથી વાઘળીયા વડલા ચોક સુધીના રસ્તાની બાજુમાં કરેલ માટી પથ્થરના ઢગલાઓને પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ માટી પથ્થરના ઢગલા ખસેડવાની માંગણી અંગે માર્ગ અને મકાન પંચાયત નાયબ ઈજનેર કે એસઓ ફોન જ ઉપાડતા નથી તો લોકોએ પૂછવું કોને? આ અંગે ભાજપ અગ્રણી મૌલિક દરજી, ગોકુલ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર જાલેટી ત્રણ રસ્તાથી વાઘળીયા વડલા ચોક સુધીના રસ્તાનું આરસીસી કામ કર્યા બાદ રસ્તામાંથી નીકળેલી માટી અને પથ્થરના ઢગલા કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની બાજુમાં જ ખડકી દેતાં માટી પથ્થરના ઢગલાઓ આ માર્ગે નીકળતાં સ્થાનિકો અને વાહન ચલાકો માટે શિરદર્દ બન્યા છે. આ ઢગલાઓ હટાવવા અંગે માર્ગ અને મકાન પંચાયત શાખાના નાયબ ઈજનેર નીતિન નિનામા અને એસઓ નરેશ નિનામાનો વ્યક્તિગત સંપર્ક કરવા કચેરીનો સંપર્ક સાધતાં તેઓ રૂબરૂ મળ્યા ન હતા. સાથે જ તેઓનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેઓએ લોકોના જવાબ આપવાની સાથે સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
રાજ્યની આશ્રમશાળાઓમાં ફરજ બજાવતા ગૃહપતિ-ગૃહમાતા અને શિક્ષકોને વધારાની બિન શૈક્ષણિક જવાબદારીઓમાંથી મુક્તિ આપવા અરવલ્લી જિલ્લા સહિત અન્ય જિલ્લાના કર્મચારીઓએ વિવિધ માંગ સાથે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્રો લખ્યા છે અને ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. રાજ્યની આશ્રમ શાળાઓમાં RTE Act- 2009 અને NEP 2020 અંતર્ગત બાળકોના શિક્ષણલક્ષી અને સર્વાંગી વિકાસ માટે ગૃહપતિ અને ગૃહમાતાની ભરતી કરી શિક્ષકોને વધારાની બિનશૈક્ષણિક જવાબદારીઓમાંથી મુક્તિ આપવા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના લાભો આપવા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને વિવિધ વિભાગોના મંત્રીઓને શિક્ષકોએ પત્રો લખ્યા છે. કર્મચારીઓએ લખેલા પત્રોમાં જણાવ્યું છે કે આદિજાતિ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક ચાલતી આશ્રમ શાળાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરે છે. કુમળી વયના બાળકો પોતાના મા-બાપથી દૂર અભ્યાસ કરવા આશ્રમ શાળાઓમાં નિવાસ કરે છે તેવામાં બાળકોની સાચવવા, દેખભાળ રાખવા, બાળકોને સવાર-સાંજ જમવાનું, નાસ્તો, બાળકોની દૈનિક ક્રિયાઓથી લઈ શયન સુધી તેમજ બીમાર અથવા આકસ્મિક સમયે બાળકોને હોસ્પિટલ લઈ જવા જેવી વધારાની જવાબદારીઓ આશ્રમ શાળાના શિક્ષકો નિભાવી રહ્યા છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તો આશ્રમશાળાના બાળકોને શિક્ષકો પૂરતો ન્યાય આપી શકે એવી પત્ર દ્વારા માગણી કરાઇ છે. વધુમાં આશ્રમશાળાના શિક્ષકો 24 કલાક બાળકોને ભણાવવાની સાથે અન્ય બિનશૈક્ષણિક કામગીરીમાં જોડાયેલું રહેવું પડતું હોય છે. જેને કારણે શિક્ષકો શૈક્ષણિક કામગીરી ભારે તણાવ વચ્ચે કરવી પડતી હોવાનું જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા આશ્રમશાળામાં ગૃહપતિ તેમજ ગૃહમાતાની નિમણૂંક કરાય તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના શિક્ષકોને મળતાં તમામ લાભો શિક્ષકોને આપવા માંગ ઉઠી છે. કર્મચારીઓએ પત્ર દ્વારા રજૂઆત કરી છે
ટ્રાફિકજામની સમસ્યા વકરી:મોડાસા નજીક રહીયોલ ફાટક પર ટ્રક ફસાતાં ચાર કિમી ટ્રાફિકજામ
રવિવાર સવારે મોડાસાથી ધનસુરા તરફ મુખ્ય હાઇવે ઉપર આવેલા ફાટક ઉપર ટ્રક ફસાઈ જતાં અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા સાથે 4 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. મોડાસાથી ધનસુરા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર રહીયોલ ફાટક ઉપર અનેક ખાડાઓ થવાથી અનેક વાહનો વારંવાર ખોટકાઈ પડે છે. ત્યારે રવિવાર સવારના 11:00 વાગ્યાના સમય દરમિયાન ફાટક વચ્ચોવચ ટ્રક ફસાઈ જતાં ચાર કિલોમીટર લાંબી વાહનોની કતારો સર્જાઈ ગઈ હતી. ટ્રાફિકજામ થવાના કારણે અનેક લોકો લગ્ન પ્રસંગમાં મોડા પહોંચ્યા હતા. જ્યારે બીજી તરફ અનેક વાહનો સામ સામે આવી ગયા હતા. ધનસુરાની પોલીસ તથા મોડાસાની પોલીસ આ ટ્રાફિક ને પુનર્વત કરવામાં નિષ્ફળ નિવડી હતી.
LCBની કાર્યવાહી:મોડાસામાં પોલીસને જોઈ ચાલક વિદેશી દારૂ ભરેલી ગાડી મૂકી ફરાર
મોડાસાના સાયરા ગામની સીમમાં પેલેટ ચોકડી પાસે મેઘરજ રોડ ઉપર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો હતો. જોકે મોકાનો ફાયદો ઉઠાવીને ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલ/ટીન નંગ-620 કુલ રૂ. 188080નો વિદેશી દારૂનો જથ્થો અને ગાડી સહિત કુલ રૂ.488080નો મુદ્દામાલ કબજે લઈ એલસીબીએ ભાગી છૂટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા શખ્સો ઉપર અસરકારક રેડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા એસપી મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાના ભાગરૂપે એલસીબીના પો.ઇન્સ.એમ.એચ.ઝાલાની આગેવાનીમાં એલસીબી પો.સબ.ઇન્સ વી.જે.તોમર તથા પો.સબ.ઇન્સ પી.પી.સોલંકી તેમજ પો.સબ.ઇન્સ વી.ડી.વાઘેલા સહિતનો સ્ટાફ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન મેઘરજ તરફથી આવી રહેલી ગાડી આવતાં તેને ઉભી રાખવા ઈશારો કરતાં સાયરા ગામની સીમમાં ચાલક ગાડી રોડ પર મૂકી ભાગી છૂટ્યો હતો. એલસીબીએ ગાડી નં.GJ.01.KM.1950 ની તલાસી લીધી હતી.
22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા:સલાટપુર ગામમાં બાવન ગોળ કડવા પાટીદાર સમાજનો 31મો સમૂહલગ્ન
તલોદના સલાટપુરમાં બાવન ગોળ કડવા પાટીદાર ઉમિયા માતાજીના મંદિરે યોજાયેલા 31મા સમૂહલગ્નમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તલોદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય ગણપતસિંહ ઝાલા હાજર હતા. આગામી સમૂહલગ્ન અંતર્ગત પણ ચર્ચા કરાઇ હતી. મહેશભાઈ પટેલ દ્વારા એન્કરિંગ કરાયું હતું. શાસ્ત્રી અમિતભાઈ રોનકભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પોલીસ તંત્ર પ્રજા સાથેના સંકલન આધારે જ લોકસુરક્ષાને સુદ્રઢ કરી શકે છે. જેમાં લોકો સાથેનો સંવાદ પણ મહત્વનું પરિબળ હોવાનું સાબરકાંઠા પોલીસ વડાએ શનિવારે વિજયનગર થાણા નિરીક્ષણ નિમિત્તે પ્રજા સાથે સંવાદ દરમ્યાન ઉપસ્થિત નાગરિકોને સંબોધતાં જણાવ્યું હતું. તેઓએ લોક દરબારની પ્રાચીન પ્રથા દ્વારા લોક પ્રશ્નોને સાંભળી તેનો ઝડપી સુગમ નિકાલ કરવાની ખાતરી આપી હતી. પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે શનિવારે કાર્યકારી નાયબ પોલીસ વડા કુલદીપભાઈ નાયી, વિજયનગર કાર્યકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.જોશી સાથે વિજયનગર થાણા નિરીક્ષણ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે લોક દરબારના માધ્યમથી લોકોની સમસ્યાઓ અને કાયદો અને વ્યવસ્થા સમજવા સંવાદ યોજ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ ફૂલવન્તિબેન રમેશભાઈ સોલંકી, પૂર્વ ભાજપ સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ, ઉપપ્રમુખ અલ્પેશભાઈ ડાભી, વસાઈ પૂર્વ સરપંચ ગણપતસિંહ સોલંકી, મૌલિક દરજી, પ્રભુદાસ પટેલ,વેપારી અગ્રણી નવીનભાઈ પંચાલ, અલ્પેશ ભાઈ દોશી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંવાદ દરમ્યાન ઉપસ્થિત નાગરિકોને સંબોધતાં જણાવ્યું હતું કે પોલીસ તંત્ર પ્રજા સાથેના સંકલન આધારે જ લોકસુરક્ષાને સુદ્રઢ કરી શકે છે. આ પ્રસંગે પોલીસ વડાએ તાલુકાની તમામ આંતરરાજ્ય બોર્ડરની ચોકીઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અંગેની માંગણી, ચિઠોડા પોલીસ સ્ટેશનના નવીન ભવન બાંધકામ અંગેના તેમજ જૈન દેરાસરમાં થયેલી ચોરીના પ્રકરણ બાબતે પણ ત્વરિત ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
સર્વોદય સહકારી બેંકની ચૂંટણી:મોડાસાની સર્વોદય સહકારી બેંકની ચૂંટણીમાં 68% થી વધુ મતદાન થયું
મોડાસાની ટોચની ગણાતી ધી સર્વોદય સહકારી બેંક લી. ની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 6,540 જેટલા મતદારોએ મતદાન કરતાં 68% કરતાં વધુ મતદાન નોંધાયું હતું 14 ડિરેક્ટરો માટે યોજાયેલી આ ચૂંટણીમાં વિશ્વાસ અને પરિવર્તન બંને પેનલના 28 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં મોડી સાંજે મત ગણતરી શરૂ થઈ હતી. વહેલી સવારથી મખદુમ હાઇસ્કૂલમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં મતદારોની લાંબી કતારો લાગી હતી. 9,600 કરતાં વધુ સભાસદ મતદારો ધરાવતી સર્વોદય સહકારી બેંક ની ચૂંટણીમાં 14 ડિરેક્ટર પદ માટે ઉમેદવારોમાં ભારે રસાકસી જોવા મળી હતી. ચૂંટણી જંગમાં મુસ્લિમ સમાજના મોટા માથાઓએ પણ ઝંપલાવતા ચૂંટણી જંગ પેચીદો બન્યો હતો. 14 બેઠકો પૈકી બે મહિલા તથા એક એસસી એસટી અનામત બેઠકનો સમાવેશ થાય છે.

31 C