ગોધરાના મેસરી નદીના બ્રિજ નીચે ગંદકી અટકાવવા માટે મૂકવામાં આવેલું નગરપાલિકાનું દંડનીય કાર્યવાહીનું બોર્ડ કચરાના ઢગલામાં પડેલું મળી આવ્યું છે. આ ઘટના નગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગઈકાલની જાહેરાત બાદ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકાએ મ્યુનિસિપલ એક્ટ હેઠળ દંડની જોગવાઈ દર્શાવતું આ બોર્ડ ગંદકી અટકાવવા માટે લગાવ્યું હતું. જોકે, આજે સવારે સ્થળ પર તપાસ કરતા, આ બોર્ડ કચરા અને એઠવાડ વચ્ચે દયનીય હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. ગઈકાલે જ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 'વોચ' રાખવામાં આવશે અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાશે. પરંતુ, આજે સ્થળ પર કોઈ 'વોચ' રાખનારું દેખાયું ન હતું, અને પાલિકાનું પોતાનું બોર્ડ જ કચરામાં રગદોળાયેલું મળ્યું હતું. પાલિકાનું સત્તાવાર બોર્ડ ઉખેડીને કચરામાં ફેંકી દેવાની આ ઘટના દર્શાવે છે કે ગંદકી ફેલાવનારા તત્વોને તંત્ર કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. જાગૃત નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જે તંત્ર પોતાના બોર્ડને સુરક્ષિત નથી રાખી શકતું, તે નદીને સ્વચ્છ કેવી રીતે રાખી શકશે. આ અંગે ગોધરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મેસરી નદીના બ્રિજ નીચે કચરામાં પડેલું બોર્ડ પાલિકા દ્વારા પરત લઈ લેવામાં આવશે. ગંદકીના કાયમી ઉકેલ માટે આગામી રવિવારે બ્રિજથી લઈને કોઝવે સુધીના નદીના પટમાં રહેલો તમામ કચરો દૂર કરવા માટે ખાસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાત્રે ઓફિસ બંધ હોય અને સ્ટાફ ન હોય ત્યારે આજુબાજુના હોટલ સંચાલકો અંધારાનો લાભ લઈ અહીં કચરો ઠાલવી જતા હોવાનું ધ્યાને આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં સગા સંબંધીઓ દ્વારા કિંમતી મિલકત પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે. સંબંધના નાતે રહેવા આપેલા મકાનમાં કાયમી અડિંગો જમાવી દેનાર પિતા અને પુત્ર વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સગવાડિયા ગામે રહેતા શીતલબેન ડોડીયાએ આ ફરિયાદ નોંધાવી છે. ગોધરાના ભુરાવાવ ચાર રસ્તા પાસે શીતલબેનના નાના શંકરભાઈ ખલીયાભાઈ ડામોરે વર્ષ ૧૯૮૮માં એક મકાન (સીટી સર્વે નં. ૪૨૩) ખરીદ્યું હતું. શંકરભાઈ અને તેમના પત્ની ભીખીબેનના અવસાન બાદ આ મિલકત વારસાઈ હક્કે તેમની દીકરી બાલુબેન અને ત્યારબાદ દોહિત્રી શીતલબેન તથા તેમના ભાઈ-બહેનોના નામે થઈ હતી. શંકરભાઈ જીવિત હતા ત્યારે તેમણે પોતાના ભત્રીજા વાડીલાલ વેચાતભાઈ ડામોર અને વાડીલાલના પુત્ર પંકજભાઈ ડામોરને સંબંધના નાતે આ મકાનનો ઉપરનો માળ રહેવા માટે આપ્યો હતો. જોકે, મકાન માલિકોના મૃત્યુ બાદ વાડીલાલ અને પંકજભાઈની દાનત બગડી હતી. તેઓએ મકાન ખાલી કરવાને બદલે વર્ષ ૨૦૧૮માં મકાન માલિક વિરુદ્ધ જ કોર્ટ કેસ કર્યો હતો, જેમાં તેઓ હારી ગયા હતા. તેમ છતાં શીતલબેનના માતાના અવસાન બાદ આ બંને શખ્સોએ આખા મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. આખરે શીતલબેને ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ અરજી કરી હતી. કલેક્ટર કચેરીની તપાસ સમિતિમાં આ જમીન પચાવી પાડી હોવાનું ફલિત થતાં કલેક્ટરના હુકમથી વાડીલાલ ડામોર અને પંકજ ડામોર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ગોધરા વિભાગના DySP કરી રહ્યા છે.
સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના એક ચોથા વર્ગના કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતકના પરિવારે વ્યાજખોરો પર માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દેવું થઈ જતાં ખૂબ જ તણાવમાં રહેતો હતોપ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્ર અને અમરોલી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. સુરત મનપામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. વિનોદ જાવડે છેલ્લા કેટલાક સમયથી ભારે દેવું થઈ જતાં ખૂબ જ તણાવમાં રહેતા હતા. આર્થિક સંકડામણના કારણે તેઓ ગહન ચિંતામાં ડૂબેલા રહેતા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારે વ્યાજખોરોને ઝડપી પાડીને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ આ રીતે ભોગ ન બને. અમરોલી પોલીસે ગુનો નોંધ્યોઅમરોલી પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કર્મચારીના આપઘાત પાછળ જવાબદાર વ્યાજખોરો કોણ છે અને તેઓ કેટલા સમયથી વિનોદને હેરાન કરી રહ્યા હતાં, તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરોના ત્રાસના કારણે કોઈ નાગરિકને પોતાનું જીવન ટૂંકાવવું પડે તે ઘટના સમાજ માટે એક ગંભીર ચેતવણીરૂપ છે. પોલીસની કડક કાર્યવાહી દ્વારા જ આવા તત્વો પર લગામ લગાવી શકાય છે.
રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગેમઝોનના સંચાલક ધવલ ભરત ઠકકર કે જે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર છે તેના જામીન આજે રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. તાજેતરમાં જ મનપાના અધિકારીઓ મનસુખ સાગઠિયા, ઇલેશ ખૈર,ભીખા ઠેબા અને જમીનના માલિકના જમીન મુક્ત થયા હતા ત્યારે હવે બાકી રહેલા એક આરોપીનો પણ જામીન પર છૂટકારો થઈ ગયો છે. ટીઆરપી ગેમઝોનના સંચાલકના જામીન મંજૂરગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત નિપજ્યા હતા જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો હતો. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કન્હેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા (જૈન) હતા. ઘટનાના દોઢ વર્ષમાં જ 15 આરોપીઓ જામીન પર મુક્ત આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજી સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલા ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. અગ્નિકાંડના બનાવમાં આરોપી પ્રકાશચંદ કન્હેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે ધવલ ઠક્કરના જામીન રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ જામીન ઉપર મુક્ત થઈ ગયા છે.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અક્ષર મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવશે. 7 ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં પ્રમુખસ્વામી મહારાજના માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે. સાબરમતી નદીમાં 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઈટિંગ સાથેની ફ્લોટિંગ હોડી રાખવામાં આવશે. સરદાર બ્રિજથી એલિસબ્રિજની વચ્ચે આ હોડી રાખવામાં આવશે. સાતમીએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 8 અને 9 ડિસેમ્બરે પણ આ ડેકોરેટિંવ હોડીઓ રાખવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 7 ડિસેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અને 300થી વધારે સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. રિવરફ્રન્ટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માત્ર આમંત્રિતોને જ બોલાવવામાં આવ્યા છે. જેથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50,000 જેટલા આમંત્રિતો ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવશે. આમંત્રિતો સિવાય દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશે સાંજે યોજાનારા ભવ્ય કાર્યક્રમને લઈને અમદાવાદમાં જ રહેતા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી દરેક વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTS બસો મૂકવામાં આવી છે. દરેક વિસ્તારમાં જે લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા છે તેમને કાર્યક્રમ સરસ્ સુધી લાવવા માટે 500થી વધુ બસો મૂકવામાં આવેલી છે. દરેકના વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે જ્યાંથી બસમાં તેઓને લાવવામાં આવશે અને પરત તેમના સ્થાન સુધી લઈ જવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચારથી વધુ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલા છે જેમાં સ્વયંસેવકો રહેશે. છેલ્લા બે મહિનાથી આ કાર્યક્રમને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કુલ 20 જેટલા સેવાવિભાગો અને 5000 જેટલા સ્વયંસેવકો રહેશે. વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો રહેશે. BAPS સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંતોના વારસાને જાળવી રાખવા માટે અને નવી પેઢી સુધી પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અંગેની ઝાંખી દર્શાવવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજને અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ દ્વારા સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વરણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાબરમતી નદીના તટે રિવરફ્રન્ટ પર આ કાર્યક્રમ યોજવામાં આવશે. સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે. પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખ તરીકેની વરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (21 મે, 1950) ના જેઠ સુદ 4ના દિવસે, રવિવારે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે 5 વાગ્યે - પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે - નિયુક્ત કર્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામી મહારાજ’ના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીએ(પ્રમુખસ્વામી મહારાજે) વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી કે “મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ.” આ પ્રતિજ્ઞા મુજબ તેઓ જીવનભર દેહની પરવાહ કર્યા વિના સેવામય રહ્યા હતા અને હજારો લોકસેવાના અભિયાનો કરી અનેક પ્રદાનો આપ્યાં હતાં. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક-સામાજિક સંગઠન તરીકે ઊભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્વના નિર્ણયો લેવાયા છે, એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ – યજ્ઞપુરુષ પોળ છે. 1938માં બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’ નો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખસ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત, 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ આંબલીવાળી પોળમાંથી, બી.એ.પી.એસ.ના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે. 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ફેમિલી કોર્ટ બહાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત કરતા પૂર્વ પ્રમુખ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કાઉન્સિલે આ અરજી નકારતા અરજદારને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ ફેમિલી કોર્ટ બાર એસોસિએશને ઠરાવ પસાર કરીને પ્રમુખ પદ મહિલા અનાત માટે રાખ્યું છે. જે કાયદા અનુસાર જ છે. આમ, હવે ફેમિલી કોર્ટ બહાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા આગળ વધી શકશે. મતગણતરી 20 ડિસેમ્બરના રોજ યોજાશેઅત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવવાની છે. જેનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તેની મતગણતરી 20 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણી ફેમિલી કોર્ટમાં એસોસીએશનના 6 હોદ્દેદારો અને 6 કારોબારી સભ્યોના પદ માટે યોજાવાની છે. 6 હોદ્દેદારો પૈકી પ્રમુખનું પદ અને ખજાનચીનું પદ એમ 2 પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે કારોબારી સભ્યમાં પણ 6 પૈકી 2 પદ મહિલા માટે અનામત રાખવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામત પ્રમુખ પદને લઈને અરજી કરી હતીઉપરોક્ત મહિલા અનામત પૈકી ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂકેલા ઇન્તેખાબહુસેન ખોખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા માટે રખાયેલ અનામત પ્રમુખ પદને લઈને અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ ઇંતેખાબહુસેન ખોખરની મહિલા અનામતને પડકારતી અરજી ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચુકાદો આપે નહીં. ત્યાં સુધી ઉમેદવારી પત્રનું વિતરણ કરવામાં આવશે નહીં. ચૂંટણી કમિશનર આવું જાહેરનામું કરી શકે નહીંઇન્તેખાબહુસેને પોતાની અરજીમાં જણાવ્યું છે કે, બાર એસોસિએશનના નિયમ મુજબ લાયકાત ધરાવતા વ્યક્તિ કોઈપણ જાતના લિંગ ભેદ વગર કોઈપણ પદ ઉપર ઉમેદવારી નોંધાવી શકશે. ગત બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખજાનચીના પદમાં મહિલા અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત કમિટીમાં પણ 30 ટકા મહિલા અનામત રાખવામાં આવી છે. જેમાં પ્રમુખ પદના અનામતને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. આથી ચૂંટણી કમિશનર આવું જાહેરનામું કરી શકે નહીં.
સુરત શહેરનાં કતારગામ ખાતેમોડી રાત્રે લેશપટ્ટીનાં કારખાનામાં આગ ફાટી નીકળતાં આસપાસનાં કારખાનેદારો સહિત કારીગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હોનારતને પગલે કારખનામાં મુકેલ સંપૂર્ણ માલ સ્વાહા થઈ ગયો હતો. ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે કતારગામ ખાતે આવેલ લેશ પટ્ટીનાં કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે, આગ પર કાબુ મેળવવામાં આવે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને પગલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતાં કતારગામ સહિત પાંચ ફાયર સ્ટેશનની ૧૦ ગાડીઓનાં કાફલા સાથે લાશ્કરો ઘટના સ્થળે ઘસી ગયા હતા. કારખાનામાં મોટા પ્રમાણમાં મુકવામાં આવેલ લેશપટ્ટીનાં જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં લાશ્કરોને પણ ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. વિકરાળ આગ અને ધુમાડા વચ્ચે દોઢ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને ફાયર વિભાગનાં જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, આ દુર્ઘટનામાં કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના ચાચાપરમાં 15થી વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળ્યા:ફોરેસ્ટ વિભાગે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી
મોરબીના ચાચાપર ગામની સીમમાંથી 15 થી 17 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં તેમણે સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીને જાણ કરી હતી. રમેશભાઈ ભીમાણી અને ગામના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ મૃત પક્ષીઓના મૃતદેહનો કબજો લીધો હતો અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મોરબી જિલ્લામાં શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ કુંજ પક્ષીઓના મોત પાછળનું કારણ શોધવા માટે વન વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવસારીમાં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી:દિવ્યાંગોએ શિવતાંડવ રજૂ કર્યું, રમતોત્સવ યોજાયો
નવસારીમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ‘મમતા મંદિર’ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3જી ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલીને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ, મમતા મંદિરના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મંત્રી વિરાટભાઈ કોઠારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસ્થાન પૂર્વે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરવામાં આવી હતી. રેલી એરૂ ચાર રસ્તાથી મમતા મંદિર સુધી યોજાઈ હતી. રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નિર્મલભાઈ ચૌધરી, ટ્રસ્ટીઓ સંગીતાબેન શાહ, મૌસમબેન પંડ્યા અને નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સચિન પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. બેન્ડના સથવારે અને જાગૃતિના બેનરો સાથે દિવ્યાંગ બાળકોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રાથમિક શાળા કૃષિ કેમ્પસ, એરૂ અને પ્રાથમિક શાળા સમદીયાના બાળકો પણ ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા. વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણીના ભાગરૂપે, દિવ્યાંગો માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. સરકારની ‘ખેલે ભી, ખીલે ભી’ ટેગલાઈન અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાઓનું પ્રદર્શન કર્યું હતું. દરેક સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા સ્પર્ધકોને નવસારીના પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલ, નિર્મલભાઈ ચૌધરી, ઘનશ્યામભાઈ પટેલ અને વિરાટભાઈ કોઠારીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોએ શિવતાંડવ કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. મમતા મંદિર પરિવારે દિવ્યાંગો સમાજનું અભિન્ન અંગ છે તે ભાવના સાથે રેલીમાં જોડાઈને સદ્ભાવના વ્યક્ત કરનાર પ્રાથમિક શાળાના બાળકો અને સભ્ય સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત ગાન સાથે થયું હતું.
ભરૂચ જેલમાં એઇડ્સ જાગૃતિ પ્રશ્નોત્તરી સ્પર્ધા:GSNP+ અને સિવિલ હોસ્પિટલના સહયોગથી આયોજન
વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ GSNP+ સંસ્થાની પ્રિઝન ઇન્ટરવેન્શન યોજના, દીશા DAPCU અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડ, જેલર વી.એમ. ચાવડા, DTHO પૂનમબેન, યોગેશભાઈ, સંધ્યા મોરે અને ICTC કાઉન્સેલર રાહુલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં બંદીવાનોને એચ.આઈ.વી.–એડ્સ અંગે વિસ્તૃત જાગૃતિ પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે “Overcoming Disruption – Transforming The AIDS” થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એચ.આઈ.વી. સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ, કલંક અને ભેદભાવથી મુક્ત સમાજના નિર્માણ તથા એચ.આઈ.વી. અંગે સાચી માહિતી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બંદીવાનોએ આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના જ્ઞાન મુજબ અંક મેળવ્યા હતા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બંદીવાનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જેલ પરિસરમાં એચ.આઈ.વી. અંગે જાગૃતિ અને સકારાત્મકતા ફેલાવવામાં સફળ રહ્યો હતો.
સુરત લિંબાયતના કૃષ્ણનગર-2 વિસ્તારમાં અસામાજિક તત્વો અને બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખ્સોએ એકસાથે પથ્થરમારો કર્યો હતો. જેના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં આ ઘટના બની તે વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલો છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો બેફામ બન્યા છે. આંગણવાડીની મહિલાએ આક્ષેપ કરતાં કહ્યું કે, 'સવારે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો મળે છે'. ત્યારે સુરત લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાથી આવારા તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. 'દારૂ ન પીવા અને અશ્લીલ શબ્દો ન કહેવા માટે રોક્યા'મળતી વિગત અનુસાર, આ સમગ્ર ઘટના કૃષ્ણનગર-2 માં આવેલા મકાન નંબર 37ની છે. ફરિયાદી ચેતન રાજપૂતએ જણાવ્યું કે, તેમના ઘરની નજીક અસામાજિક તત્વો અને બુટલેગરો બેસીને દારૂ પી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા. ઘરમાં મહિલાઓ રહેતી હોવાથી ચેતન રાજપૂત આ શખ્સોને દારૂ ન પીવા અને અશ્લીલ શબ્દો ન કહેવા માટે રોકવા ગયા હતા. 'અચાનક જ પથ્થરમારો કરવા લાગ્યા, આશરે 15થી 20 લોકો હતા'ચેતન રાજપૂતના જણાવ્યા મુજબ, રાત્રે હું બધાને રોકવા માટે ગયો. અહીં બેસીને દારૂ પી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા જેથી હું રોકવા માટે ગયો. આ લોકો મને ગાળો આપવાની શરૂઆત કરી જેથી મારા પરિવારના લોકો મને મકાનની અંદર લઈ ગયા. ત્યારબાદ આ લોકો અચાનક જ પથ્થરમારો કરવાની શરૂઆત કરી દીધી. આશરે 15થી 20 લોકો હતા. પત્થર આ માટે મારવામાં આવ્યું કારણકે અમે આ લોકોને રોક્યું હતું. ઘરની અંદર પરિવારના સભ્યો હોવા છતાં, બહાર ઉભેલા 15થી 20 અસામાજિક તત્વોએ બંધ ઘરની બહાર સતત પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. મહિલાએ કહ્યું, 'સવારે નિરોધ(કોન્ડોમ)ના પેકેટ અને દારૂની બોટલો મળે છે'આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે નજીકની આંગણવાડીમાં કાર્યરત બહેનો પણ હેરાન થઈ ગઈ છે. આંગણવાડીની કાર્યકર વૈશાલીબેને લિંબાયત પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વૈશાલીબેને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ઘણા સમયથી અમારા ત્યાં 12-13 વર્ષથી આંગણવાડી ચાલે છે. વિસ્તારના લોકો કહે છે કે અહીં દારૂના અડ્ડા ચાલે છે. જ્યારે અમે આંગણવાડી ખોલીએ છીએ ત્યારે ત્યાં દારૂની બોટલો જોવા મળે છે. નિરોધના પેકેટ મળી આવે છે... બૈરાઓના કપડા પણ મળી આવે છે. જ્યારે સવારે અમે આવીએ ત્યારે શરમજનક સ્થિતિ હોય છે. અમે આ અંગેની ફરિયાદ પણ અગાઉ કરી ચૂક્યા છે. આ લોકો આંગણવાડીના ગેટ કાપીને લઈ ગયા છે. આંગણવાડી પાસે દારૂના અડ્ડા ચાલતા હોવા અને શરમજનક વસ્તુઓ મળી આવતી હોવાના આક્ષેપોથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં કાયદાનો ડર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. લિંબાયત પોલીસની નિષ્ક્રિયતા પર સવાલસ્થાનિકો અને આંગણવાડીની મહિલાઓ બંનેએ અનેક વાર ફરિયાદ કર્યા બાદ પણ લિંબાયત પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ન કરી હોવાનો રોષ વ્યક્ત કર્યો છે. ચેતન રાજપૂતનો વિરોધ આ પોલીસ નિષ્ક્રિયતાનું જ પરિણામ હોવાનું લોકો માની રહ્યા છે. આ સમગ્ર મામલે લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રવિ ચોકો સહિત ચાર લોકો સામે તોડફોડ અને સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી રવિ પર મારામારીનો ગુનો અગાઉ નોંધવામાં આવ્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશન અગાઉ પણ વિવાદમાંજોકે, પીઆઈને આરોપીઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે કે નહીં તે અંગે હાલ જાણકારી ન હોવાનું જણાવી તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશનનો વિવાદમાં આવવાનો આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ બુટલેગરની હત્યા અને પોલીસ સ્ટેશનમાંથી આપઘાત જેવા ગંભીર બનાવો સામે આવી ચૂક્યા છે. ફરિયાદીની ફરિયાદ ન લેવા બાબતે પણ ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક ફરિયાદો પહોંચી છે, તેમ છતાં પોલીસ કર્મચારીઓનો વ્યવહાર સુધર્યો ન હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. આ ઘટના ફરી એકવાર લિંબાયત પોલીસની કામગીરી અને બુટલેગરોના બેફામ આતંક પર ગંભીર સવાલો ઊભા કરે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પંગારબારીથી આંબોસી ભવઠાણ સુધીના રસ્તાના નિર્માણ કાર્યમાં મોટાપાયે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને નેતાઓએ આ મામલે અવાજ ઉઠાવ્યો છે. ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે કે રસ્તાનું કામ અત્યંત નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે. આ ફરિયાદો મળતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે સ્થાનિક લોકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને પણ ઘટનાસ્થળે બોલાવીને કામની ચકાસણી કરાવી હતી. કલ્પેશ પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, સામાન્ય રીતે એક કિલોમીટર રસ્તા માટે અંદાજે ₹1 કરોડ મંજૂર થતા હોય છે. પરંતુ, અહીં 5 થી 7 કિલોમીટરનો રસ્તો માત્ર ₹2 કરોડના બજેટમાં મંજૂર કરાયો છે. આટલા ઓછા બજેટમાં ગુણવત્તાયુક્ત કામ કેવી રીતે થશે તે એક મોટો પ્રશ્ન છે. પ્રાથમિક દ્રષ્ટિએ પણ કામ અત્યંત નબળું અને બોગસ જણાઈ રહ્યું છે. રસ્તાના કામ અંગે રજૂઆત કરવામાં આવતા કોન્ટ્રાક્ટર કાર્તિક પઢિયારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ દાદાગીરી કરતા જોવા મળે છે. કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, તમારે રોલર પર ચડવું હોય તો ચડી જાવ, કામ મારી બુદ્ધિથી જ થશે. આના જવાબમાં પટેલે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રજાના ટેક્સના પૈસે કામ થાય છે, તેથી કોન્ટ્રાક્ટરની બુદ્ધિ નહીં પણ એસ્ટીમેટ મુજબ કામ થવું જોઈએ. સ્થાનિક રહીશોના મતે, આ રસ્તો 10 થી 12 વર્ષના લાંબા ગાળા પછી બની રહ્યો છે. લોકોની અપેક્ષા છે કે રસ્તો મજબૂત બને અને આગામી 10-12 વર્ષ સુધી ટકી રહે. જોકે, હાલ જે પ્રકારનું હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તે જોતા આ રસ્તો 5-6 મહિનામાં જ તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. કલ્પેશ પટેલે એવી શંકા વ્યક્ત કરી છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તટસ્થ કાર્યવાહી કરવામાં નહીં આવે અને રસ્તો વ્યવસ્થિત રીતે બનાવવામાં નહીં આવે, તો ગ્રામજનો સાથે મળીને માર્ગ અને મકાન વિભાગની કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. આ મામલે કોન્ટ્રાક્ટર કાર્તિક પઢીયારે ટેલિફોનિક જણાવ્યું હતું કે, નિયમ અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી રોડ બનાવવાની કામગીરીમાં થોડીક તકલીફ પડી રહી છે, તેમ છતાં તેમની ટીમ કામગીરી કરી રહી છે.
વડોદરાના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ રણોલી ગામમાં છેલ્લા દોઢ વર્ષથી મૈત્રી કરાર કરી પ્રેમી સાથે રહેતી 19 વર્ષીય યુવતી નેન્સીનો મૃતદેહ તેના ઘરેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં માતા-પિતાએ સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગત રાત્રે સયાજી હોસ્પિટલમાં બંને પક્ષ વચ્ચે ધીંગાણું પણ સર્જાયું હતું. આ મામલે હાલમાં યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની અને ઈસ્ટાગ્રામ દ્વારા યુવકના સંપર્કમાં આવી નેન્સી છેલ્લા દોઢ વર્ષથી પ્રેમી સાથે મૈત્રી કરાર કરી રણોલી ખાતે રહેતી હતી. નેન્સી દોઢ વર્ષ પહેલા રણોલી ગામના ભાવેશ વાદી (મહાદેવ મંદિર પાછળ રણોલી) સાથે વાતચીત બાદ પ્રેમસંબંધ બાંધી મૈત્રી કરાર કરી માતા પિતાથી અલગ તેના ઘરે રહેતી હતી. ગઈ કાલે તેના સાસરી પક્ષમાંથી કોલ આવ્યો કે તેની સ્થિતિ સારી નથી. તમે સયાજી હોસ્પીટલમાં આવી તેવું કહી બોલાવ્યા હતા જ્યાં દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. નેન્સીનો પોતાના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે અને ગળાના ભાગે નિશાન પણ જોવા મળ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલમાં પેનલ પી એમ કરવામાં આવી થયું છે. હાલમાં પોલીસે આ મૃતક નેન્સીનો મોબાઈલ પણ કબ્જે મેળવી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવશે. આ યુવતીએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ ખબર પડશે. પરંતુ હાલમાં માતા પિતાના એસીપીને સ્વીકારી પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે નેન્સીના પિતા મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈ ચાર વાગે આસપાસ આ ઘટના ઘટી હતી, અમને 6 વાગ્યા બાદ જાણ કરી હતી. પહેલા અમને તેની સ્થિતિ સારી નથી તેવું કહ્યું અને બાદમાં નેન્સી રહી નથી તેવું કહ્યું હતું. અમને સયાજી હોસ્પિટલમાં બોલાવ્યા અને જોયું તો કેસ પતિ ગયો હતો. અમે ફરિયાદ કરી છે વધુમાં કહ્યું કે, અમને ક્યારેય લાગતું નથી કે નેન્સી આવું કરે શકે અને તેને કર્યું નથી. તે લોકો સાચું બોલતા નથી. જવાબ આપતા નથી. કોઈ કહે છે ફાંસી લટકી ગઈ છે કોઈ કહે છે સોફામાં પડીને મરી ગઈ છે. મારે ન્યાય જોઈએ છે બસ તેને સજા આપો બીજું કશું જોઈતું નથી. અમને રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ અમને ન્યાય મળવો જોઈએ. આ અંગે ACP આરડી કવાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ગત રોજ સાડા ચાર વાગ્યે તેના પતિ(મૈત્રી કરાર) ભાવેશભાઈ સાથે ગેસના બાટલા બાબતે વાતચીત થાય છે અને ત્યારબાદ નેન્સીબેન પાંચ વાગ્યા બાદ સાડીનો છેડો પંખા સાથે બધી આત્મહત્યા કરી હોવાના સમાચાર ભાવેશભાઈ જ્યાં કામ કરે છે ત્યાં મળે છે. આ બાબતે ફરિયાદ લેવામાં આવે છે, આ ઘટનામાં પેનલ પી એમ કરવામાં આવ્યું છે. વધુમાં કહ્યું કે, પરિવારજનોના આક્ષેપો છે કે દીકરીને મારી નાખી છે, તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. આત્મહત્યા દરમ્યાન નખના કોઈ નિશાન નથી. આ અંગેનું પંચનામુ કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ બાબતે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટના અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારના આકાશમાં 'સૂર્યકિરણ એર-શો તેમજ એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન'નું અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુબઈમાં પ્રદર્શન કરનાર વાયુ સેનની 'સૂર્યકિરણ' ટીમ દિલધડક અવકાશી પરફોર્મન્સ રજૂ કરશે. આ ઉપરાંત શસ્ત્ર તેમજ બેન્ડનું પ્રદર્શન પણ યોજાનાર છે. જોકે આ માટે લોકોને અટલ સરોવરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં પરંતુ અટલ સરોવર ફરતે વ્યુઇંગ ગેલેરી ઉભી કરાશે, જેમાં 15 જેટલી એલઇડી સ્ક્રીન અને સ્પીકર્સ ગોઠવવામાં આવશે. અંદાજે 1 લાખ લોકો આ પ્રદર્શન નિહાળવા આવે તેવી સંભાવના મનપા કમિશ્નર તુષાર સુમેરાએ વ્યક્ત કરી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય વાયુસેનાનાં સંયુક્ત પ્રયાસોથી યોજાનાર આ અદભૂત કાર્યક્રમ તા. 07-12-2025ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટીના વિસ્તારમાં યોજાશે. શહેરીજનો આ દિલધડક અવકાશી પરફોર્મન્સ નિહાળી શકે તે માટે એર શોનો સમયગાળો સામાન્ય 30 મિનિટના બદલે એક કલાક જેટલો ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક દિવસ અગાઉ એટલે કે તારીખ 06-12-2025ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ રિહર્સલ પણ યોજાનાર છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતીક એવી ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ડીસ્પ્લે ટીમ દિલધડક અવકાશી પરફોર્મન્સ પ્રદર્શિત કરીને શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે. આ એર શો દરમ્યાન જામનગરથી ઉડાન ભરનાર 9 કે તેથી વધુ પ્લેનની ટીમ સ્માર્ટ સિટી એરિયા ઉપર એરોબેટિક ડીસ્પ્લે રજૂ કરશે. થોડા સમય પૂર્વે દુબઈમાં યોજાયેલ એર શોમાં પણ 'સૂર્યકિરણ' ટીમ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. વાયુ સેનાના નવ જેટલા વિમાનો દ્વારા આકાશમાં એક કલાક દિલધડક સ્ટંટ રાજકોટવાસીઓના મન મોહી લેશે. સમગ્ર અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં આ એર શો સારી રીતે નિહાળી શકાશે. લોકો સારી રીતે એર શો નિહાળી શકે તે માટે અટલ સરોવર બહાર બેસીને અથવા ઊભા રહી શકે તે રીતે વ્યુઇંગ સ્થળો જાહેર કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના સ્થળોનો નકશો તૈયાર કરીને લોકોને પણ શેર કરવામાં આવશે, જ્યાં લોકો રસ્તા પર કે આજુબાજુના ખુલ્લા પ્લોટમાં ઊભા રહીને અને બેસીને પણ એર શો નિહાળી શકશે. લોકોની સલામતી માટે બીઆરટીએસ કોરિડોર ખાલી રાખવા તેમજ વ્યવસ્થાપનના ભાગરૂપે લોકોને બે કલાક પહેલાં સ્થળ પર પહોંચી જવા અનુરોધ છે. મ્યુનિસિપલ કમિશનરે એક મહત્વપૂર્ણ બાબત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, એર શો ઉપરાંત ગરુડ કમાન્ડોના શસ્ત્રોનું પણ પ્રથમ વખત પ્રદર્શન યોજાનાર છે. આ સાથે એરફોર્સ બેન્ડની સુરાવલી સાંભળવાની પણ પ્રથમવાર તક મળશે. ભારતીય વાયુ સેના દ્વારા રાજકોટમાં ખાસ એર શો ઉપરાંત એરફોર્સ બેન્ડ અને ડિફેન્સના હથિયારોનું પ્રદર્શન સહિતના ત્રણ પ્રકારના ડિસ્પ્લેની મંજૂરી આપવામાં આવેલ છે, આ માટે મનપા પણ ભારતીય વાયુ સેનાનો આભાર વ્યક્ત કરે છે. આ એર શોનું આયોજન યુવાઓમાં એરફોર્સમાં કારકિર્દી અંગે ઉત્સાહ વધારવા અને નાગરિકો જેમાં ખાસ કરીને બાળકો તથા યુવાઓને ભારતીય સશસ્ત્ર દળ અને એરફોર્સમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. એટલું જ નહીં ભારતીય વાયુ સેનાની શૌર્ય અને ગૌરવથી ભરપૂર કામગીરી અંગે સામાન્ય નાગરિકો પણ વાકેફ થાય તેના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 1 લાખ લોકો આ એર-શો નિહાળે તેવી શક્યતા છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ વિશે સૂર્યકિરણ એ ભારતીય વાયુ સેનાની એરોબેટિક ડિસ્પ્લે ટીમ છે. આ ટીમમાં કુલ 9 BAe Hawk Mk132 એરક્રાફ્ટ શામેલ છે, જે કર્ણાટકના બિદર એરબેઝથી ઓપરેટ કરે છે. આ એરોબેટિક ટીમ સમગ્ર દક્ષિણ એશિયાની એકમાત્ર એરોબેટિક ડિસ્પ્લે ટીમ છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ એરોબેટિક ટીમની યાદીમાં ઉચ્ચ સ્થાન અને વિશ્વસનીયતા ધરાવે છે. ઇતિહાસ અને વિમાન ભારતીય વાયુ સેનામાં સૌ પ્રથમ એરોબેટિક ટીમની રચના વર્ષ 1982 માં કરવામાં આવી હતી. 27 મે, 1996ના રોજ તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને સૂર્ય કિરણ નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2001 માં સૌ પ્રથમવાર શ્રી લંકા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેણે પરફોર્મ કર્યું હતું. વર્ષ 2015 માં BAe Hawk Mk 132 વિમાનો સાથે સૂર્યકિરણ ટીમની પુનઃ રચના કરવામાં આવી હતી. ટીમનું સૂત્ર સદૈવ સર્વોત્તમ (હંમેશા શ્રેષ્ઠ) છે. આ ટીમ નવ વિમાનોના જૂથમાં પ્રખ્યાત પ્રદર્શન કરે છે, જે તેમને વિશ્વની આવી થોડી ટીમોમાંની એક બનાવે છે. ટીમ છ મહિનાની સઘન તાલીમ અને રિહર્સલના સખત વાર્ષિક ચક્રમાંથી પસાર થાય છે, ત્યારબાદ છ મહિનાના પ્રદર્શન કરે છે. પ્રદર્શનની વિશેષતાઓ સૂર્ય કિરણ ટીમ દેશ વિદેશમાં વિવિધ પ્રસંગોએ એર શો નિદર્શન કરે છે. ભારતમાં તેનું નિદર્શન યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય અને તેઓ સૈન્ય સેવાઓમાં જોડાય તે માટે પ્રેરિત કરે છે. સૂર્ય કિરણ ટીમ દ્વારા દેશની વિવિધ જગ્યાઓ જેમ કે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપના આયોજનમાં, ભોજ તાલ – ભોપાલ, પિન્ક સિટી જયપુર, નેશનલ ડિફેન્સ એકેડમી વગેરે સ્થાનો પર એર શો કરેલ છે. આ વિમાન ઉડાડતી વખતે અને ખાસ કરીને દિલધડક સ્ટંટ કરતી વખતે પાઇલોટ દ્વારા 5g -6g જેટલા ગુરુત્વ પ્રવેગનો અનુભવ થાય છે. વિમાન 150 કિમી/કલાકથી 600 કિમી/કલાકની ઝડપે ઉડે છે અને દાવપેચ કરતી વખતે 1,100 કિમી/કલાક સુધીની ઝડપે પહોંચી શકે છે. તેમના એર શોમાં વિવિધ પ્રકારની રચનાઓ અને દાવપેચ દર્શાવવામાં આવે છે, જેમ કે DNA મેન્યુવર, બેરલ રોલ્સ અને હાર્ટ લૂપ્સ. આ ટીમે ભારતમાં 500 થી વધુ પ્રદર્શનો કર્યા છે, ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE ખાતે વિદેશમાં એર શોમાં ભારતીય વાયુસેનાની સક્ષમતા દર્શાવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે યોજાનાર આ પ્રદર્શન માટે હાલ મનપા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં વ્યુઇંગ ગેલેરી ઉભી કરવી, 15 જેટલી LEDઓ અને સ્પીકર્સ ગોઠવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુ. કમિશ્નરે સ્પષ્ટ જણાવ્યું છે કે, નાગરિકો માત્ર વ્યુઇંગ ગેલેરીમાંથી આ એર-શો નિહાળી શકશે. જ્યારે શસ્ત્ર પ્રદર્શન તેમજ વાયુસેનાનાં બેન્ડનું પ્રદર્શન વિડીયો મારફતે જોઈ શકશે. અટલ સરોવરમાં આમંત્રિત મહેમાનો અને મીડિયા સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ આ એર-શો નિહાળવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી. સ્માર્ટ સિટી ઉપરાંત લોકો તેમની અગાસીઓમાંથી પણ એર-શો નિહાળી શકશે. અંદાજે 1 લાખ જેટલા રાજકોટિયનો આ દિલધડક દ્રશ્યો નિહાળે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
પાટડી તાલુકાના બજાણા ગામના સરપંચ વિરુદ્ધ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઈ મેરાણીએ ગ્રામજનો સાથે મળીને તાલુકા વિકાસ અધિકારી (TDO) સંજય ઉપલાણાને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં બજાણા ગ્રામ પંચાયતમાં થયેલા કૌભાંડની તપાસની માંગ કરવામાં આવી છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ મેરાણીએ આ આક્ષેપો કર્યા છે. તેમણે મોટી સંખ્યામાં સમર્થકો અને મહિલાઓ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી. આવેદનપત્ર મુજબ, 15મા નાણાપંચ (ગ્રામ્ય કક્ષા) અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં આર.સી.સી. દિવાલ (દવાખાના પાસે), ખુલ્લી ગટર અને ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. દલિત વિસ્તારના કામોની ગ્રાન્ટના અધૂરા કામો પૂરા કર્યા વગર જ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સરપંચ અને તલાટી દ્વારા પૂર્વ આયોજન કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ગ્રામસભાના ખોટા ઠરાવો કરીને, કોરમ પૂર્ણ ન થતું હોવા છતાં, તાલુકા પંચાયતને ખોટા ઠરાવોની નકલો આપીને પ્લાન, એસ્ટીમેન્ટ, વહીવટ અને વર્ક ઓર્ડર મેળવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. મેરાણીએ તાત્કાલિક ધોરણે એક ટીમ બનાવી વિકાસના કામોની તપાસ કરવા, ગ્રામ પંચાયતનું રેકોર્ડ અને ગ્રામસભાની ઠરાવ બુક તપાસવા માંગ કરી છે. તેમણે સરપંચને 57(1) મુજબ હોદ્દા પરથી દૂર કરવા, FIR દાખલ કરવા, તલાટીને સસ્પેન્ડ કે ડિસમિસ કરવા અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ અને FIR કરીને સરકારી નાણાં રિકવર કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જો ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો અનશન કે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણા દ્વારા આ બાબતે ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી હતી.
મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી ₹1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ પોલીસથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા. જોકે, ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીમુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ઠુંમર અને સાયબર સેલ, સરહદી રેન્જ ભુજના પીએસઆઈ એમ.એચ. જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે મુન્દ્રા GIDCમાં મોટાપાયે દારૂનો વેપલો થઇ રહ્યો છે. જે બાતમી મુજબ રેડ કરતાં GIDC વિસ્તારના ગોડાઉન નંબર 33માં દરશડી ગામનો અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ વાઘેલા ટ્રક મારફતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની પેરવી કરી રહ્યા હતા. બે આરોપી પકડાયા; ત્રણ વોન્ટેડપોલીસે વિક્રમસિંહ દીલુજી વાઘેલા (ઉ.વ. 37, રહે. મુજપુર, તા. શંખેશ્વર, જિ. પાટણ) અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ (ઉ.વ. 25, રહે. સુરેન્દ્રનગર) નામના બે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસમાં અનિલસિંહ જાડેજા (માલ મંગાવનાર), મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા (માલ મંગાવનાર) અને અનિલ ઉર્ફે પાંડ્યા (માલ મોકલનાર, ટ્રક ચાલક) વોન્ટેડ છે. કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી 31,500 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો, જેની કિંમત રુપિયા 1,71,09,840 આંકવામાં આવી છે. આ ઉપરાંત, RJ-19-GJ-5475 નંબરની ટ્રક (કિંમત 25 લાખ), GJ-36-V-1760 નંબરની પીકઅપ બોલેરો (કિંમત 5 લાખ), GJ-12-BZ-8554 નંબરની આઈસર ટ્રક (કિંમત 10 લાખ), ત્રણ મોબાઈલ ફોન (કિંમત 15 હજાર) અને રોકડા 7 હજાર સહિત કુલ 2,11,31,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતાઆરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, તેઓ પોલીસ ચેકિંગથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા. દરોડા દરમિયાન પકડાયેલી ટ્રકમાં અને દારૂ ભરવા માટે તૈયાર કરાયેલા વાહનોમાં પણ આવા ભૂસાના બાચકા મળી આવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ: નાયબ પોલીસવડાભુજના નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, ગોડાઉન અંગેની પ્રાથમિક તપાસમાં તેના માલિક નરેન્દ્ર મણીલાલ મકવાણા (રહે. આદિપુર) અને ઓમ ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર અમિત મુકેશભાઈ ચૌહાણ (રહે. આદિપુર) હોવાનું જાણવા મળ્યું છે. આ બંને વચ્ચેનો ભાડા કરાર પણ મળી આવ્યો છે, જેની વધુ તપાસ ચાલુ છે. આ પ્રવૃત્તિમાં અન્ય કોની કોની સંડોવણી છે અને કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે તે અંગે વધુ તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પીએમ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર - વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે. આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરી છે. આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. જેમાં મહત્વની 9 ભલામણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી છે. GARCના આ છઠ્ઠા અહેવાલમાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તે નીચે મુજબ છે. 1. ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે 9 થી 12 મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે. 2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે. 3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડોદર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. આના પરિણામે, ભરતી પ્રક્રીયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ આ છઠ્ઠા ભલામણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યુ છે. 5. કેન્ડિડેટ ફ્રેન્ડલી - એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણ GARCના આ અહેવાલમાં થઈ છે. 6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લોએકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડિયે અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે. 7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠનઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે. 8. Computer-Based પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગરાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવવામાં આવેલું છે. 9. 10 વર્ષનું ભરતી કેલેન્ડરદરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ GARCએ કરી છે.
સોમનાથમાં પ્રસ્તાવિત કોરિડોર વિકાસનો મુદ્દો ફરી ગરમાયો છે. આ મામલે પ્રભાસ હિત રક્ષક સમિતિએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. સોમનાથ લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગામના વિવિધ સમાજોના આગેવાનો અને અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ અને ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ તંત્રની કાર્યશૈલી પર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે તંત્ર અસરગ્રસ્તોને અલગ-અલગ બોલાવીને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સમિતિએ આરોપ મૂક્યો કે ગામની એકતા તોડવાના અને આગેવાનોમાં મતભેદ ઊભા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રભાસ હિતરક્ષક સમિતિએ કરેલા અદાણીના આક્ષેપ અને વિવિધ સમાજના આગેવાનોને મળવા મુદ્દે પ્રાંત અધિકારી વિનોદ જોશી અને સોમનાથ ટ્ર્સ્ટના મેનેજરનો પક્ષ જાણવા દિવ્યભાસ્કરે તેમનો બબ્બે વાર પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે કોલ રિસિવ કર્યા ન હતા અને નોરિપ્લાય રહ્યા હતા. સમિતિએ એવો પણ ખુલાસો કર્યો કે તંત્રના કેટલાક અધિકારીઓ અસરગ્રસ્તોને બોલાવીને કહી રહ્યા છે કે 'અદાણી હિત રક્ષક સમિતિના આગેવાનોને ખરીદી લેશે'. આ પ્રકારની વાતોથી ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે. સમિતિએ આક્ષેપ કર્યો કે આવી ચર્ચાઓ દ્વારા લોકોમાં ભ્રમ ફેલાવીને એકતા ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સમિતિએ મીડિયા મારફતે તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સમિતિએ જણાવ્યું કે જો અદાણીને જમીન આપવાની હોય તો સરકાર અને તંત્ર લોકો સમક્ષ સ્પષ્ટ અને સાચો ખુલાસો કરે, ભ્રામક વાતો ન ફેલાવે અને ગામમાં ગેરસમજ ઊભી ન કરે. સમિતિએ ફરી સ્પષ્ટ કર્યું કે અસરગ્રસ્તો કોઈપણ પરિસ્થિતિમાં કોરિડોર સ્વીકારશે નહીં. છેલ્લા થોડા દિવસોમાં ગામમાં તંત્રની વધતી હિલચાલને કારણે આ મુદ્દે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. તંત્રની કાર્યશૈલી અંગે વ્યાપક અસંતોષ જોવા મળતા ગ્રામજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. સમિતિએ ગામની એકતા સાથે ચેડાં ન કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સહિત વિવિધ સમાજના આગેવાનો અને અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક જ અવાજમાં જણાવ્યું કે સોમનાથ-પ્રભાસની ઓળખ અને સામાજિક સેતુને નુકસાન પહોંચાડનારા કોઈપણ નિર્ણય સામે તેઓ વિરોધ કરશે.
બોટાદ જિલ્લાના સમઢીયાળા નંબર 2 ગામે રાજાશાહી સમયના એક ઐતિહાસિક પાણીના અવેડાને તોડવાના પ્રયાસો સામે આવ્યા છે. આ મામલે રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી સહિતના આગેવાનોએ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. મંચના અધ્યક્ષ મનજી સોલંકીએ જણાવ્યું હતું કે, ગામનો આ અવેડો માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, પરંતુ તે ગામનો ઇતિહાસ અને વારસો પણ છે. તેને નષ્ટ કરવાનો કોઈપણ પ્રયાસ સ્વીકાર્ય નથી અને તેનો સખત વિરોધ કરવામાં આવશે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આ ઐતિહાસિક અવેડાને તોડવાનો પ્રયાસ ચાલુ રહેશે, તો ગામમાં ઉગ્ર આંદોલન શરૂ થઈ શકે છે. મંચના આગેવાનોએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને આ કાવતરાને અટકાવવા અને અવેડાને સુરક્ષિત રાખવા વિનંતી કરી છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે ગૌરક્ષક સામત જેબલિયા, મનજી સોલંકી, કેશવ મકવાણા, અરજણ ભરવાડ, કનુ ભરવાડ, જેરામ તાવીયા, વિઠલ સાપરીયા, ગૌરક્ષક અધ્યક્ષ મુકેશ કણજરીયા, ઇમ્તિયાઝ કળગથરા, નુરમોહમ્મદ દાયમા અને જાકિર સંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા તાલુકાના વીરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગત રાત્રિના 12 વાગ્યાના અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં ઘૂસ્યા હતા અને ગર્ભગૃહના બંધ દરવાજાના તાળા તોડીને માતાજીને અર્પણ કરાયેલા લાખોના આભૂષણો, ચાંદીનું છત્ર અને કિંમતી પાદુકાઓની ચોરી કરી ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે, જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો અને બીજો તસ્કર નકાબ બાંધીને અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં બે ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મંદિરના ગર્ભગૃહના બંધ દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યામહેસાણા તાલુકાના વીરતા ગામે 2 ડિસેમ્બરની રાત્રિના 12 વાગ્યાના અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા. જ્યાં ચોરોએ મંદિરના ગર્ભગૃહના બંધ દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવેલા લાખોના આભૂષણો તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. એક તસ્કર ચાંદીનું મોટું છત્ર ખેંચી તોડીને પોતાના સાથે લઈ ગયોCCTV કેમેરામાં જોવા મળી રહ્યું છે કે, એક તસ્કર મંદિર બહાર વોચ રાખી રહ્યો છે. ત્યારે બીજા તસ્કરે મોઢે નકાબ બાંધી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને સૌ પ્રથમ માતાજીની સામે પડેલી કિંમતી પાદુકાઓ ચોરી પોતાના કિસ્સામાં મૂકી.ત્યારબાદ ત્યાં લાગેલું ચાંદીનું મોટું છત્ર ખેંચી તોડીને પોતાના સાથે લઈ ગયો હતો. ત્યારબાદ માતાજીને પહેરાવવામાં આવેલા કિંમતી આભૂષણો પણ તસ્કર ચોરી કરતો કેમેરામાં જોવા મળ્યો હતો. વીરતા ગામે એક જ અઠવાડીયામાં બે ચોરીની ઘટના સમગ્ર ચોરીની ઘટના અંગે જિલ્લા પંચાયતના પાંચોટ બેઠકના ડેલીકેટ મુકેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, તસ્કરોએ એક અઠવાડિયામાં આ બીજી ચોરી કરી છે. વેરાઈ માતાજીના મંદિરમાં માતાજીને ચડાવવામાં આવેલ ચાંદીના છત્ર અને ચાર કિંમતી પાદુકાઓ ચોરી ગયા હતા. જેમાંથી એક પાદુકા રાત્રિના નાસભાગ દરમિયાન મંદિર પરિસરમાં પડી ગઈ હતી. સમગ્ર ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જાણી શકાશે કે તસ્કરો કેટલાની અને શું શું ચોરી ગયા છે. હાલમાં તો ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ પણ વાંચો: વીરતા ગામે ખેતરની ઓરડી અને મંદિરમાં ચોરી: તસ્કરો ગેસનો બાટલો, પંખા સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા
બનાસકાંઠા જિલ્લામાં બોગસ ડિગ્રીના આધારે તબીબી સારવાર કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પાલનપુર SOG શાખાએ અમીરગઢ વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઈ. જે.જે. સરવૈયા અને તેમની ટીમે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, તેમને કપાસિયા ગામમાં દિનેશવાઘાભાઈ વાંસીયા નામનો વ્યક્તિ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીના આધારે, SOG ટીમે ખારા, અમીરગઢના મેડિકલ ઓફિસરને જાણ કરી તેમની અને ફાર્માસિસ્ટની મદદ લીધી હતી. બે પંચોને સાથે રાખીને કપાસિયા ગામમાં દિનેશભાઈ વાઘાભાઈ વાંસીયાના દવાખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન, દિનેશભાઈ વાઘાભાઈ વાંસીયા (રહે. વેરા કેદારનાથ રોડ, વાંસીયા વાસ, અમીરગઢ) પાસેથી વિવિધ કંપનીઓની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 17,915.62 આંકવામાં આવી છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ તેની સામે અમીરગઢ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો 'રેઢીયાર વહીવટ' ફરી એકવાર સપાટી પર આવ્યો છે. હોસ્પિટલનું સર્વર અચાનક ડાઉન થઈ જતાં દૂર-દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન ન મળતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સર્વર ડાઉન થતા દર્દીઓ અને તેના સંબંધીઓ પરેશાનસુરતની સ્મીમેર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે. જોકે, આજે સવારથી જ હોસ્પિટલમાં OPD માટે ટોકન લેવાની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ જતાં ટોકન આપવાનું કામ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ OPDની બહાર લાંબી કતારોમાં ઊભા હતા. બે કલાકથી વધુ સમય રાહ જોયા બાદ પણ ટોકન ન મળતાં દર્દીઓ અકળાઈ ઉઠ્યા હતા. દર્દીઓમાં બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકો પણ હતા, જેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. દર્દીઓના સંબંધીઓએ રોષ ઠાલવ્યોસર્વર ડાઉન થવાના કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતાં તેમના સગાં-સંબંધીઓએ હોસ્પિટલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ મનપા સંચાલિત હોસ્પિટલના વહીવટને રેઢીયાર ગણાવીને ઉગ્ર રજૂઆતો કરી હતી. એક રોષે ભરાયેલા દર્દીના સગાએ જણાવ્યું હતું કે, અમે સવારના વહેલા આવીને લાઈનમાં ઊભા છીએ. બે કલાકથી વધુ સમય થઈ ગયો પણ સર્વર ચાલુ નથી. દર્દીઓ અહીં પીડાઈ રહ્યા છે, આટલો સમય બગાડ્યાનો જવાબ કોણ આપશે? હોબાળો થતા વહીવટી સ્ટાફમાં દોડધામ મચીહોબાળો વધતાં હોસ્પિટલના વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. ટેકનિકલ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને સર્વરને ફરીથી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. અવારનવાર સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓ સ્મીમેર હોસ્પિટલના બિનકાર્યક્ષમ વહીવટ પર મોટો સવાલ ઊભો કરે છે. એક તરફ મનપા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેની જ સંચાલિત હોસ્પિટલમાં સામાન્ય ટેકનિકલ ખામીને કારણે દર્દીઓને કલાકો સુધી હેરાન થવું પડે છે. સર્વર ડાઉન હોવાના કારણે ટોકન ન મળતા બે કલાક સુધી દર્દીઓ રઝળ્યાભાવેશભાઈ રબારી (પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા) એ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં જે ગરીબ દર્દીઓ છે એ સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલની અંદર સારવાર લેવા આવે છે, ત્યારે આ સારવાર લેવા આવે છે ત્યારે તેની ટોકન લઈ અને જે સર્વર હોય છે, એના આધારે હોસ્પિટલના ઓપીડીમાં મોકલવામાં આવે છે. પણ એક પણ દર્દીને આજે બે કલાકથી સર્વર બંધ છે, એના કારણે એક પણ દર્દીઓને ઓપીડીમાં મોકલવામાં નથી આવતા. પોતાની રોજી રોટી કમાનાર ગરીબ દર્દીઓ અહીંયા આવે છે, પરંતુ આ બે કલાકથી સર્વર અટવાયેલું છે. પરંતુ ઉપરી અધિકારીઓ છે, આરએમઓ હોય કે અહીંયાના હોસ્પિટલના જે પણ અધિકારીઓ હોય અથવા એસએમસીના અધિકારી છે બે કલાકથી કોઈ પણ ડોકાયા નથી. આજે અનેક દર્દીઓ અટવાયા છે, અનેક દર્દીઓ પોતાનો ધંધો રોજગાર છોડીને આવે છે, પરંતુ સ્મીમેરની અંદર જે લાલીયાવાડી ચાલે છે, એ વર્ષોથી લાલીયાવાડી ચાલે છે, એની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. જેના કારણે આજે સર્વર ડાઉન છે બે કલાકથી, તેમ છતાં આજે દર્દીઓની વારે એક પણ અધિકારી કે એક પણ એવા ઉપરી અધિકારી અહીંયા દેખાતા નથી. દર્દી સુરેશભાઈ કલાલે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા ને, તો અડધા કલાક સુધી બહાર બેસાડી રાખ્યા. એટલે સર્વર ડાઉન છે. પછી એ પેલો કર્મચારી આવ્યો ને કહું કે તમને વધુ તકલીફ હોય ને તો પ્રાઇવેટ હોસ્પિટલ જાવ. જેને લઈને તમામ લોકોએ વિરોધ કર્યો હતો. તમામ લોકોને સળતા રહે તે પ્રકારનો નિર્ણય કરવો જોઈએ. આ ઘટના એ બાબતની ગંભીરતા દર્શાવે છે કે દર્દીઓની સુવિધા માટેની પાયાની ટેકનિકલ વ્યવસ્થા જર્જરિત છે. સ્થાનિકોએ માંગ કરી છે કે હોસ્પિટલ પ્રશાસન આ મામલે કડક પગલાં ભરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી વ્યવસ્થા ઊભી કરે. હાલમાં, હોસ્પિટલના અધિકારીઓ સર્વરની સમસ્યાને દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી સર્વર ચાલુ નહીં થાય, ત્યાં સુધી હજારો દર્દીઓ સારવાર માટે અટવાયેલા રહેશે. હોસ્પિટલ તંત્રનો લૂલો બચાવસ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જિતેન્દ્ર દર્શને લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, આજે સર્વર ડાઉનની ઘટના બની તે માત્ર 15 મિનિટ માટે બની હતી. ત્યારબાદ સર્વર રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. 15 મિનિટથી 30 મિનિટ સુધી જો સર્વર બંધ રહે તો મેન્યુઅલ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બની રહેલા કેશોદ અંડરબ્રિજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલું એક ભારે લોડર વાહન બ્રિજના ગર્ડર સાથે અથડાતા ગર્ડરનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ તૂટેલું ગર્ડર એક વાહન પર પડતા વાહનને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 'વેલ્ડિંગ બરાબર કરવાનું કહ્યું ને સીધેસીધો કલર કરી નાખ્યો હતો'આ ઘટના બાદ બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અંડરબ્રિજ પાસે જ દુકાન ધરાવતા સ્થાનિક રહીશ હર્ષદ ગજેરાએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે,જ્યારે આ અંડરબ્રિજનું કામ શરૂ હતું, ત્યારે પણ અહીંના દુકાનદારોને ભારે મુશ્કેલી પડી હતી. આ ગર્ડર જ્યારે ઊભું કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ અમે બાંધકામકર્તાઓને કહ્યું હતું કે વેલ્ડિંગ બરાબર કરો, પરંતુ તે સમયે કોઈએ ધ્યાન આપ્યું નહોતું અને સીધેસીધો કલર કરી નાખ્યો હતો. 'ગર્ડર વેલ્ડિંગ વગર જ મૂકવામાં આવ્યું હતું'દુકાનદારે વધુમાં કહ્યું કે, આ ગર્ડર વેલ્ડિંગ વગર જ મૂકવામાં આવ્યું હતું. તૂટેલો ગર્ડરનો ભાગ એક બેંકની ગાડી પર પડ્યો હતો, જેનાથી ગાડીને નુકસાન થયું, પરંતુ તેમાં રહેલા લોકો બચી ગયા. જો આ જગ્યાએ કોઈ ટુ-વ્હીલર કે રાહદારી હોત, તો તેનું માથું ફાટી ગયું હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પણ તંત્ર વહેલી તકે આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી તેમણે વિનંતી કરી છે. અંડરબ્રિજ પ્રોજેક્ટ માટે 21 કરોડનો ખર્ચ ને વિવાદકેશોદનો આ અંડરબ્રિજ પ્રોજેક્ટ રેલવે ફાટક મુક્ત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો અને તે આશરે 21 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો. જોકે, આ બ્રિજ પોતાના બાંધકામની શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે. અંડરબ્રિજને કારણે એક દલિત યુવાનનો પણ જીવ ગયો હતોછેલ્લા અઢી વર્ષથી આ અંડરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે સ્થાનિક વેપારીઓ અને કેશોદવાસીઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. અગાઉ આ 'ગોઝારા' અંડરબ્રિજને કારણે એક દલિત યુવાનનો જીવ પણ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. લજે આ બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર સાથે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. બ્રિજના બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર સવાલોચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં પાણીનો મોટા પાયે ભરાવો થતા અહીંથી પસાર થવું જોખમી બની ગયું હતું. રેલવે ઓથોરિટી તરફથી જરૂરી મંજૂરી મેળવવામાં પણ વિલંબ થયો હતો, જેના કારણે કામગીરી અનેક વખત અટકી પડી હતી. હાલમાં લોડર અથડાતા ગર્ડર તૂટવાની ઘટનાએ ફરી એકવાર બ્રિજના બાંધકામની ગુણવત્તા અને કામગીરીની ધીમી ગતિને ઉજાગર કરી છે.
ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં ગીતા જયંતિ મહોત્સવ:ભગવદ-ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકનું પઠન કરાયું
હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભગવદ-ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ હીસ ગ્રેસ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ ભગવદ-ગીતાનું મહત્વ સમજાવતો પરિસંવાદ કર્યો હતો. આ પ્રસંગે ગીતામંડપનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. આ ગીતામંડપમાં કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદ દ્વારા રચિત ભગવદગીતા-યથાસ્વરૂપેની વિશેષ આવૃત્તિઓ તેમજ વિશ્વની આશરે ૮૩ જુદી-જુદી ભાષાઓમાં રૂપાંતરિત થયેલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉત્સવમાં ભક્તિ સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો અને અંતમાં મહાઆરતી કરવામાં આવી હતી. ગીતા જયંતિના પવિત્ર દિવસે વિશ્વના સમસ્ત વૈષ્ણવો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થયેલા સંવાદની ઉજવણી કરવામાં આવે છે. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં મંદિરો, ગ્રામ્ય વિસ્તારો અને ઘરોમાં ગીતા જયંતિ મહોત્સવ ઉજવાય છે. ભગવદ-ગીતાનો સંદેશ તેના તત્કાલીન ઐતિહાસિક સંદર્ભની મર્યાદાઓને પાર કરીને કાલાતીત સત્યો પ્રગટ કરે છે. તેમાં ક્રિયા અને પ્રતિક્રિયા, જીવ અને પ્રકૃતિ વચ્ચેનો તફાવત, પરમેશ્વર તથા કાલચક્રના સિદ્ધાંતો જેવા આધ્યાત્મિક વિષયોનું જ્ઞાન પ્રશ્ન-ઉત્તર સ્વરૂપે આપવામાં આવ્યું છે. ગીતાના અધ્યાય ૪ની શરૂઆતમાં તેના ઐતિહાસિક અસ્તિત્વ વિશે સમજાવવામાં આવ્યું છે. કૃષ્ણકૃપામૂર્તિ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદે તેમના સાહિત્યમાં જણાવ્યું છે કે ભગવદ-ગીતાનું ઉચ્ચારણ આશરે ૧૨૦,૪૦૦,૦૦૦ વર્ષો પહેલા થયું હતું અને તે માનવ સમાજમાં ૨,૦૦૦,૦૦૦ વર્ષો સુધી વિદ્યમાન હતી. આશરે ૫૦૦૦ વર્ષો પહેલા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરણાગત અર્જુન સમક્ષ ભગવદ-ગીતાનું ફરીથી ઉચ્ચારણ થયું હતું. જે ભક્તો નિયમિત રીતે ગીતા જ્ઞાનનું રસપાન કરે છે, તેઓ જીવનમાં તેના ઉપયોગની મહત્વતા સમજે છે. આથી ઘણા લોકો માટે ગીતા જયંતિ મહોત્સવ એ ભૂતકાળના પ્રસંગની યાદગીરી નહીં, પરંતુ વર્તમાન સમયમાં ગીતાની સુસંગતતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.
ઇડરના ભાસ્કર ભવન ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં યોજાયો હતો. દિલ્હીથી આવેલી ટીમે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ અને રોજિંદા જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તેની વિગતવાર તાલીમ આપી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ અને કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામી અને ઉપ-પ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાના કાર્યો અને ઉદ્દેશો વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કર મહેતા, પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી સભ્ય મયુર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિઓ, શિક્ષણ ખાતા સાથે સંકળાયેલા કિરીટ (ઈડર) અને ગિરીશ પરમાર (ઈડર) પણ હાજર રહ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ અને વિશિષ્ટ શિક્ષકોએ પણ આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
બીલીમોરાની એ. વી. પટેલ કોમર્સ કોલેજમાં તા. ૦૨/૧૨/૨૦૨૫ના રોજ કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન કોલેજના કેરિયર ગાઈડન્સ સેલ અને IQAC દ્વારા AEROSTAR AVIATION ACADEMY ના સહયોગથી કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વક્તા ધ્વની દિહેરાએ વિદ્યાર્થીઓને એવિએશન, હોસ્પિટાલિટી અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડૉ. સોનલબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમનું આયોજન કેરિયર ગાઈડન્સ સેલ અને IQAC ના કન્વીનર પ્રા. વર્ષાબેન રાણાએ ડૉ. પૂજાબેન વાઘેલાના સહયોગથી કર્યું હતું. અંતે, પ્રા. દીપિકા લાડે આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 'જલકથા: અપને અપને શ્યામ કી'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન બુધવારે, 3 ડિસેમ્બરના રોજ સાંજે 8 વાગ્યે શહેરના રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે કરવામાં આવ્યું. કાર્યાલયનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશન રાજકોટના શ્રી દર્પણાનંદજી સ્વામી અને શ્રી હરિપ્રબોધન પરિવારના ગુરુપ્રસાદ સ્વામીના પવિત્ર હસ્તે થયું. આ પ્રસંગે ત્રણેય સ્વામીઓએ જલકથા માટે આશીર્વચન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન સમયે ગીરગંગા બેન્ડની સુરાવલિઓ પણ ગુંજી ઉઠી હતી. આ અનોખી 'જલકથા' તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે 7 થી 12 વાગ્યા દરમિયાન યોજાશે. આ વિશ્વની પ્રથમ 'જલકથા' છે, જે જળસંચયના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા એક દાયકાથી ગુજરાતના 7 જિલ્લા, 35 તાલુકા અને 582 ગામોમાં જળસંચયના કાર્યો કરી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'જળસંચય જનભાગીદારી'ના સૂત્રને સાર્થક કરતા, ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૮,૩૫૪ થી વધુ ચેકડેમ, તળાવો અને બોરવેલ રિચાર્જના કામો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેનાથી 7.55 લાખથી વધુ લોકોને સીધો લાભ મળ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવું એ જ તેમનો સંકલ્પ છે. તેમણે ઉમેર્યું કે આ 'જલકથા' માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ જળસંચયના યજ્ઞમાં સમાજ શ્રેષ્ઠિઓ અને નાગરિકોને આહુતિ આપવા માટે પ્રેરિત કરવાનું એક મહાઅભિયાન છે. શ્રી દિલીપભાઈએ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટવાસીઓને જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા સાથે સર્વશ્રી જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ ભરતભાઈ દોશી, ભાવેશભાઈ સખીયા, માંનીજ્ભાઈ કલ્યાણી, ડૉ. યશવંતભાઈ ગોસ્વામી, આશીષભાઈ વેકરીયા, સંજયભાઈ ટાંક, ગોપાલભાઈ બાલધા, પી.એમ સખીયા, પ્રકાશભાઈ ભાલાળા, ગીરીશભાઈ દેવડીયા અને કૌશિકભાઈ સરધારા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયે તમામ શ્રોતાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.
હરણી સ્થિત જય અંબે વિદ્યાલય દ્વારા ૨ ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે 'સાયબર જાગૃતિ' વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અને સાયબર ક્રાઈમ જેવા જોખમોથી બચવા માટે જાગૃત કરવાનો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ માં શારદાની વંદના અને મંગલ પ્રાર્થના સાથે થયો હતો. શાળાના ઉપાચાર્ય શ્રી મૌલિક જોશીએ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કર્યું. સ્ટેટ સી.આઈ.ડી. ક્રાઈમ (ગુજરાત સાયબર ક્રાઈમ સેલ) ના સાયબર પ્રમોટર શ્રી નીતિનભાઈ શ્રીમાળી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મંજુસર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. શ્રી રાજેન્દ્રભાઈ ચાવલા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વેંકટેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન, મુખ્ય વક્તા શ્રી નીતિનભાઈ શ્રીમાળીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન (PPT) દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે ઊંડાણપૂર્વક સમજ આપી. તેમણે સોશિયલ મીડિયા પર રાખવી પડતી સાવચેતીઓ અને પાસવર્ડ પ્રોટેક્શન વિશે મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી. અતિથિ વિશેષ શ્રી રાજેન્દ્રભાઈ ચાવલાએ વિદ્યાર્થીઓને કાયદાકીય પાસાં સમજાવતા જણાવ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મ પર થયેલી નાની ભૂલ પણ કઈ રીતે કાયદાકીય મુસીબત નોતરી શકે છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ સાથેનું 'પ્રશ્નોત્તરી સત્ર' રહ્યું હતું. આ સત્રમાં વિદ્યાર્થીઓએ પૂછેલા મહત્વના પ્રશ્નોના નિષ્ણાતોએ સંતોષકારક ઉત્તરો આપ્યા. જેમાં સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બને તો ગભરાયા વગર ૧૯૩૦ હેલ્પલાઇન પર રિપોર્ટ કરવાની, ગેમ કે અન્ય એપ ડાઉનલોડ કરતી વખતે અજાણી લિંક પર ક્લિક ન કરવાની, ફોન વેચતી વખતે ડેટા રિકવર ન થાય તે માટે 'ફેક્ટરી રિસેટ' કરવાની અને બેંક ફ્રોડના કિસ્સામાં 'ગોલ્ડન અવર' (પ્રથમ એક કલાક) માં જ ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી હતી. આ સત્ર દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત પાસવર્ડ બનાવવાની અને અજાણી લિંક્સથી દૂર રહેવાની શીખ મળી હતી. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક સાબિત થયો. કાર્યક્રમના અંતે આભારવિધિ બાદ રાષ્ટ્રગીત સાથે સેમિનારની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગીતા મંદિરમાં ગીતા જયંતીની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી હતી.ઉજવણીના પ્રારંભમાં, વિદ્યાર્થીઓએ આદર અને સેવાની પરંપરા જાળવીને ગાયોને ઘાસચારો (દૂર્વા) ખવડાવ્યો હતો.ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ ભેગા મળીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૨મા અધ્યાય (ભક્તિ યોગ) નું સમૂહગાન કર્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ અવતાર વિશે ઊંડી જાણકારી મેળવી હતી. તેમણે રોજિંદા જીવનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્વને પણ સમજવાનો પ્રયાસ કર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો સાથે જોડાવાની, સનાતન ધર્મ પ્રત્યેની તેમની સમજણને વધુ દૃઢ બનાવવાની અને ગીતા જયંતીના મૂળભૂત સત્વનો અનુભવ કરવાની તક મળી હતી.
પાટણના રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં ગઇકાલે કોંગ્રેસના આગેવાનો સામસામે આવ્યા બાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર કહ્યું હતું કે, 'રાધનપુરની જનતા બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળા લાવી છે.' કિરીટ પટેલના આ નિવેદન બાદ લવિંગજી ઠાકોરે સવાલ કરતા જણાવ્યું કે 'કિરીટભાઇ તમે શું કરો છો એ બધી ખબર છે, તમે દારૂ પીને પડ્યા રહો છો અને ન ખાવાનું ખાવ છો. બોલે એવા MLA જોઇએ કે વરઘોડામાં નાચે એવા:કિરીટ પટેલગઇકાલે રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન યોજાયેલી સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, તમે રાધનપુરના બધા લોકોએ એક સારૂ કામ કર્યું છે, તમે બધા બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળા ધારાસભ્યને લાવ્યા છો. હવે તમારે ફરીથી બોલવાવાળા ધારાસભ્યને રાખવાના છે કે નાચવાવાળાને? તમારે તમારા પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકે એવા ધારાસભ્યની જરૂર છે કે વરઘોડામાં નાચીને તમને ખુશ કરે એવા ધારાસભ્યની જરૂર છે..? હું તો નાનપણથી ભજનનો માણસ છું: લવિંગજી ઠાકોરકિરીટ પટેલના આ નિવેદનને લઇને રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે, ગઇકાલે મારા વિસ્તારમાં કોંગ્રેસવાળા જન આક્રોશ રેલી લઇને આવ્યા હતા. શરૂઆતમાં રઘુભાઇને જીતાડવાની વાત કિરીટ ભાઇએ કરી તો એમની જ સભામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એમને ચાલુ ભાષણે રોકવામાં આવ્યા હતા. કિરીટ પેટેલે મને લઇને કહ્યું કે તમારે નાચવાવાળા ધારાસભ્ય જોઇએ છે કે નાચવાવાળા.. તો મારે એમને કહેવું છે કે હું તો નાનપણથી ભજનનો માણસ છું, સતસંગનો માણસ છું. ભારતની સંસ્કૃતિ જાળવી રાખવી અમારી ફરજ છે. 'કિરીટભાઇ તમે પટેલ છો તમને આ શોભે નહીં'લવિંગજી ઠાકોરે વધુમાં જણાવ્યું કે, મિસ્ટર કિરીટભાઇ તમે શું કરો છો એ તમારા આત્માને પુછજો. કારણ કે મને ખબર છે તમે શું કરો છો. દારૂ પીને જેમ ફાવે એમ બોલવાનું અને પડ્યા રહેવું, ન ખાવાનું ખાવ છો. કિરીટભાઇ તમે પટેલ છો તમને આ શોભે નહીં. હું તો ક્ષત્રિય છું, ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવી એ અમારી ફરજ છે. હું તમારા બકવાસને વખોડુ છું. તમે અમારા તરફ એક આંગળી ચિંધશો તો ત્રણ આગળી તમારા પર આવે છે. હું તમારા વિસ્તારમાં પણ આવીશ અને મારા કામની એક બુક બહાર પાડવાનો છું, જે તમને આપીશ એમાં ખબર પડશે કે આ નાચવાવાળા છે કે લોકોના કામ કરવાવાળા.. કોંગ્રેસની સભામાં કોંગી નેતાઓ જ સામસામે આવી ગયા ગઇકાલે રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામસામે આવી ગયા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતલપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ભચા આહીર વચ્ચે જાહેરમાં વિવાદ થયો હતો. કિરીટ પટેલે 2027ની ચૂંટણીમાં રઘુ દેસાઈને મત આપવાનું જણાવતા ભચા આહીરે તેમને જાહેરમાં રોક્યા હતા. જે બાદ કિરીટ પટેલે જાહેર મંચ પરથી ભચા આહીરને 'કોંગ્રેસની પથારી ફેરવનાર' કહ્યા હતા. જે બાદ ભયા આહીરે પણ કિરીટ પટેલને તમે પથારી ફેરવતા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ચંદનજી ઠાકોર ઉભા થઇને બંને નેતાઓને શાંત કરતા જોવા મળ્યા હતા. સભામાં આ નેતાઓ ઉપસ્થિત રહ્યાઆ જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જન આક્રોશ રેલીનું સોમવારે જિલ્લામાં આગમન થયું સોમવારે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું પાટણ જિલ્લામાં આગમન થયું હતું. ત્યારબાદ આ રેલી સાંજે પાટણ તાલુકામાંથી પાટણ શહેરમાં રાત્રે આવી પહોંચી હતી. શહેરમાં અનેક સ્થળોએ આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટણમાં રાત્રે સભાનું આયોજન કરાયું હતું .જેમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સરકાર સામે અનેક સવાલો ઊભા કર્યા હતા અને ખેડૂતોની દેવામાફી, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગારની પ્રથા બંધ કરવા, સરકારી પદો ઉપર ભરતી અને મોંઘવારી સહિત દારૂબંધીના મુદ્દા ઉઠાવ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - “આનંદધામ”, હીરાપુર ખાતે તા. 6 ડિસેમ્બર, શનિવારના રોજ “પ્રસાદી સ્થાન”નો પ્રારંભ કરવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી ભાવિક ભક્તો આ પ્રસાદી સ્થાનના દર્શનનો લાભ લઈ શકશે. આ સ્થાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પ્રસાદીની વસ્તુઓના દર્શન ઉપલબ્ધ થશે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પ્રસાદી સ્થાનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે હતા ત્યારે તેઓ જે શાલ ઓઢતા હતા તે પ્રસાદીભૂત શાલના દર્શન થશે. આ ઉપરાંત, કચ્છના સંત શ્રી જીવનપ્રાણ બાપાશ્રીના હસ્તના પંજા, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ 'હરિજ્ઞાનામૃત કાવ્ય'ની રચના માટે વાપરેલી બોલપેન, સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જે ભગવાનની પૂજા કરતા હતા તે મૂર્તિઓ, તેઓશ્રી જે શાસ્ત્રોનું પઠન કરતા હતા તે વચનામૃત આદિ ગ્રંથો, અને વિદેશના ભક્તોને લખેલા પત્રો જેવી અનેક પ્રસાદીની વસ્તુઓના અલૌકિક દર્શન કરાવવામાં આવશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રસાદીની વસ્તુઓના દર્શન કરવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. તેમણે સૌને આ દર્શનનો અવશ્ય લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસાદીની વસ્તુઓ ગુજરાત, મુંબઈ અને લંડનના હરિભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી છે. હીરાપુર સ્થિત આ આનંદધામ ખાતે દર મહિનાની પૂર્ણિમાએ સાંજે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવે છે. આ જગ્યા પર શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં ભવ્ય આરસનું છત્રી સ્થાન પણ બનાવવામાં આવેલ છે, જ્યાં ભક્તો દર્શન કરી મનોરથો પૂર્ણ થાય તેવી માન્યતા છે.
દીવાન બલ્લુભાઈ સ્કૂલની રગ્બી ટીમ દ્વિતીય સ્થાને:ખેલ મહાકુંભમાં અંડર-17 બૉય્ઝ ટીમે સિલ્વર મેડલ જીત્યો
ખેલ મહાકુંભ અંતર્ગત અમદાવાદ જિલ્લા કક્ષાની રગ્બી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલની અંડર-17 બૉય્ઝ ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૨ ખેલાડીઓની આ ટીમે ફાઇનલમાં આર્મી સ્કૂલ સામે રમીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ટીમના કોચ તરીકે સ્કૂલના વ્યાયામ શિક્ષક ડૉ. કૌશિક મેકવાન હતા, જેમણે ખેલાડીઓને તાલીમ આપી હતી. આ સિદ્ધિ બદલ સ્કૂલના ચેરમેન ડૉ. હેમાંગ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભ ઠાકોર સહિતના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપાલ અલકા સપ્રે અને સુપરવાઈઝરો સુઝાન ક્રિસ્ટી તથા સોહેલ પટેલે સમગ્ર ટીમને અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.
મોટા વરાછા સ્થિત પાયોનીયર વિદ્યાસંકુલમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ સાવલિયા, માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિદ્યા ભારતીના પૂર્ણકાલીન કાર્યકર્તા રાજેશભાઈ કાસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણી અંતર્ગત મહાદેવના મંદિરેથી પાયોનીયર સ્કૂલ સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતાના સામૈયા કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળામાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા શાળાના બાળકોમાં ધાર્મિક ભાવના જાગૃત થાય અને તેઓ સાચા માર્ગે કાર્ય કરે તેવી પ્રેરણા મળે છે, તેમ આયોજકો દ્વારા જણાવાયું હતું. ગીતા જયંતી ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગીતા જયંતી એ પવિત્ર ઉપદેશની યાદ અપાવે છે જે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશો માત્ર ધાર્મિક જ્ઞાન નથી, પરંતુ તે જીવન જીવવાની કળા પણ શીખવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારતના યુદ્ધ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પોતાના વિરોધમાં પરિવારજનો અને સંબંધીઓને જોઈને ભયભીત થઈ ગયા હતા. યુદ્ધ શરૂ કરતા પહેલા, રથ પર બેસીને તેમણે યુદ્ધ મોકૂફ રાખવાની વાત કરી હતી. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હતું કે, હું યુદ્ધ નહીં કરું. પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી જોઈતી. ભીખ માંગીને જીવન ધારણ કરવામાં હું શ્રેય માનું છું. આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે સમજાવ્યું. તેમણે આત્મા-પરમાત્માથી લઈને ધર્મ-કર્મ સંબંધિત દરેક શંકાનું નિરાકરણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો આ સંવાદ જ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી જીવનની વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહભંગ થયો અને તેમણે ગાંડીવ ધારણ કરીને દુશ્મનોનો નાશ કરી ધર્મની પુનઃસ્થાપના કરી. જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો હતો, તે માર્ગશીર્ષ શુક્લ એકાદશી હતી. આ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી (BU) મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બોપલ સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી 9 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના સાઉથ બોપલ, જુહાપુરા અને મકતમપુરા વિસ્તારમાં બીયુ પરમિશન વિનાની વપરાશ ચાલુ રાખેલી હોય તેવી હોસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા નોટીસ પાઠવવામાં આવી હતી. વારંવાર મૌખિક સૂચના આપવા છતાં તેઓ દ્વારા વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કર્યા નહીં અને વપરાશ શરૂ રાખેલો હોવાથી જાહેર સલામતીના ભાગરૂપે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વપરાશ પરવાનગી મેળવેલ ન હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા નૌશીન હોસ્પિટલ, મક્તમપુરારિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરાહેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલસફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલમમતા હોસ્પિટલ, સાઉથ બોપલઆસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલદ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારથી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની અનેક ફ્લાઈટ્સમાં ડીલે થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ડીલેને કારણે નારાજ થયેલા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ આજે સવારથી જ મોડી પડી રહી છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં મુસાફરો 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી જ અમદાવાદ એરપોર્ટ પર ફસાયા હતા. ગઈકાલ સાંજથી થઈ રહેલી ફ્લાઈટમાં ડીલે અને એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો એરપોર્ટ પર હોબાળો કરી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. જ્વાળામુખીની રાખ અને હવામાનની અસરઆ વિડિયોમાં એરપોર્ટના ચેક-ઇન કાઉન્ટર પર લોકોના ટોળા વચ્ચે થતી દલીલ જોવા મળી હતી. જેમાં કાઉન્ટર પરના અધિકારી વારંવાર પાંચ મિનિટ, પાંચ મિનિટ કહી રહ્યા છે અને મુસાફરો રોષે ભરાઈને કેટલો ટાઈમ લાગશે તેની વિશે ઉકેલની માંગણી કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી ઇથોપિયાના જ્વાળામુખીની રાખ, શિયાળાના હવામાનને કારણે અનેક ફ્લાઈટ પર અસર જોવા મળી રહી છે ઘણી ફ્લાઈટ ડીલે થતી હોય છે તો ઘણી ફ્લાઇટ કેન્સલ કરવી પડતી હોય છે પરંતુ અત્યારે એર બલસે જારી કરેલી એડવાઈઝરીના પગલે ઈન્ડિગો દ્વારા તેના A320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન ચાલી રહ્યું હોવાથી ફ્લાઇટ ડીલે થઈ રહી છે. સોલર રેડીએશનથી ફ્લાઈટ કંટ્રોલને નુકસાન થતું અટકાવવા માટે આ અપડેટ કરવું જરૂરી છે. એના કારણે ફ્લાઇટ ડીલે થઈ રહી છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળતા આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે એરપોર્ટ તરફથી મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. જેથી મુસાફરો રોેષે ભરાયા છે. એરલાઇન્સ માં થયેલા ડીલે બાબતે એરબસે જારી કરેલી ગ્લોબલ એડવાઇઝરીના પગલે IndiGo દ્વારા તેના A320 એરક્રાફ્ટના કાફલામાં કરવામાં આવેલા સાવચેતીના સોફ્ટવેર અપગ્રેડને કારણે થયો હોય તેવી શક્યતા છે. સોલર રેડીએશનથી ફ્લાઇટ-કંટ્રોલ ડેટાને નુકસાન અટકાવવા માટે આ અપડેટ જરૂરી છે. આ અપડેટ્સને કારણે એરક્રાફ્ટના રોટેશનમાં ફેરફાર થયો છે, જેના પરિણામે ઘણી ફ્લાઈટ્સ તેના નિયત સમય કરતાં મોડી પડી રહી છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત સ્વ સહાય જૂથની મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. UCD-NULM વિભાગ દ્વારા મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ, કાયદાઓ, યોજનાઓ અને નાણાકીય સાક્ષરતા અંગે શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વાનગી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, નાણાકીય સાક્ષરતા શિબિર અને બંધારણ દિન-2025ની ઉજવણી નિમિત્તે મહિલા સશક્તિકરણ તથા મહિલા અધિકારો માટે જાગૃતિ શિબિર પણ યોજવામાં આવી હતી. નાણાકીય સાક્ષરતા શિબિરમાં FLCC-સંજયભાઈ વાળંદે બેંક સંબંધિત વિવિધ યોજનાઓ અને કામગીરી વિશે સમજ આપી હતી. બંધારણ દિન-2025ની ઉજવણીના ભાગરૂપે, મહિલા અને બાળ વિકાસ કચેરીના કર્મચારીઓએ મહિલાઓને લગતી યોજનાઓ, કાયદાઓ અને તેમના અધિકારો વિશે માહિતી પૂરી પાડી હતી. આ ત્રણેય સ્પર્ધામાં 70થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર જગદીશ પાટિલ, મહિલા અને બાળ વિકાસ કચેરી-આણંદના રૂમાનાબેન પઠાણ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ હિતેશભાઈ રોહિત, હરેન્દ્રભાઈ પટેલ, કાઉન્સેલર શબનમબેન ખલીફા, તૃપ્તમ ફાઉન્ડેશન-આણંદના મેનેજિંગ ટ્રસ્ટી ભાવિકાબેન, ન્યુટ્રિશનિસ્ટ રોનક યાદવ ઉપસ્થિત રહ્યા હતા. NULM યોજનાના મેનેજર ભૂમિકા અવલાની, વ્રજ ત્રિવેદી, સમાજ સંગઠક કુલદીપ બ્રહ્મભટ્ટ અને કોમલ વાઘેલા, UCD ક્લાર્ક વિશાલભાઈ પટેલ, તેમજ UCD બ્યુટી પાર્લર ઇન્સ્ટ્રક્ટર નૈનાબેન પટેલ પણ હાજર રહ્યા હતા.
એરલાઇન્સ કંપની ઇન્ડિગોની બેજવાબદારી નો વધુ એક કિસ્સો સુરત ખાતે બન્યો છે. બે-બે ફ્લાઈટ એક જ દિવસમાં કેન્સલ થવાના કારણે 35 થી વધુ મુસાફરો સુરત એરપોર્ટ પર રઝળી પડ્યા હતા. જેમાં ગર્ભવતી મહિલા, નાના બાળકો, રેલવે નો પરીક્ષાર્થી સહિતનાનો સમાવેશ થાય છે. સાંજે ગયેલા આ મુસાફરો રાત્રે 12 વાગ્યે ઘરે પરત ફરવું પડ્યું હતું. આ અંગે જ્યારે ઈન્ડિગોના સ્ટાફને પૂછવામાં આવ્યું તો અયોગ્ય જવાબ આપ્યો હતો. આ સાથે જ મુસાફરો તકલીફમાં હતા અને ઈન્ડિગોનો સ્ટાફ હસી મજાક કરી રહ્યો હતો. આ બાબતે એક મુસાફર દ્વારા ઈન્ડિગોને મેઈલ કરીને પણ ફરિયાદ કરી છે. સુરતમાં રહેતા દેવર્ષ શાહ પરિવાર સાથે જયપુર અને જેસલમેર ફરવા જવા માટે સુરતથી જયપુરની ઈન્ડિગોની ફ્લાઈટમાં બુકિંગ કરાવ્યું હતું. તેમની સાથે પત્ની, બે નાના પુત્રો, તેમના પિતરાઈ ભાઈ તેમના સંતાનો અને તેમની છ માસ ગર્ભવતી પત્ની પણ જયપુર આવી રહ્યા હતા. બે ડિસેમ્બર સુરત થી જયપુરની ડાયરેક્ટ ફ્લાઈટ 3:30 કલાકની હતી. જે કેન્સલ થતાં 9:30 સુરત થી દિલ્હીની ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરોને મોકલવાની એરલાઈન્સ કંપની દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગ્ય જવાબ ન આપતા મુસાફરોએ હોબાળો મચાવ્યોદેવર્ષ શાહ અને તેમના પરિવારના સાત સભ્યો સહિત 35 જેટલા મુસાફરો 7 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચી ગયા હતા. 9:30 વાગ્યાની સુરતથી દિલ્હીની ઈન્ડિગોની ફ્લાઈટ પણ કેન્સલ થઈ હોવાનું 11:30 વાગે જણાવવામાં આવ્યું હતું. પાંચ કલાકથી સુરત એરપોર્ટ પર રઝળી રહેલા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સુરત એરપોર્ટ ખાતે રહેલા ઈન્ડોગો ના સ્ટાફ દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં ન આવતા મુસાફરો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. દેવર્ષ શાહ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે ઈન્ડિગોના મેનેજર પ્રદીપ ને જ્યારે આ બાબતે કહેવામાં આવ્યું ત્યારે માત્ર તે એટલું જ કહેતા હતા કે હું તમને મેલ આઈડી આપી દઉં છું તમે તેમાં મેલ કરી દો. આ સાથે મુસાફરો અટવાઈ ગયેલા હતા અને તે સ્ટાફના લોકો ત્યાં હસી મજાક કરી રહ્યા હતા. અમારું જયપુર અને જેસલમેરનું ચાર લાખથી વધુનું પેકેજ છે. જે તમામ એડવાન્સ બુકિંગ થઈ ગયેલું છે. એરલાઇન્સ કંપની રિફંડ આપશે કે તે પણ ખબર નથી પણ જે એડવાન્સ બુકિંગ થઈ ગયેલું છે તેમાંથી કઈ પાછું આવશે નહીં. એરપોર્ટ ખાતે પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતીવધુમાં જણાવ્યું હતું કે, 35 થી વધુ મુસાફરો હતા જેવો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. એરપોર્ટ ખાતે પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. રાત્રે 11:30 વાગે કહી દેવામાં આવ્યું હતું કે હવે કોઈ વ્યવસ્થા નહીં થાય આવતીકાલે બપોર બાદ થશે. ઘરે પરત જવા માટેની પણ કોઈ વ્યવસ્થા કરી દેવામાં આવી ન હતી. આજે ચાર વાગ્યાની ફ્લાઈટમાં રીસીડ્યુલ કરવામાં આવ્યું છે. અમારું તો એડવાન્સ બુકિંગ થઈ ગયું છે એટલે જવું પડશે પણ જે લોકોને પરીક્ષા હતી અને ઇમરજન્સી હતી તે લોકો તો અટવાઈ જ પડ્યા છે. તમામ મુસાફરોનો એક જ વાત હતી કે અમને રિફંડ મળવું જોઈએઈન્ડિગોના સ્ટાફ દ્વારા ફ્લાઇટ કેન્સલ થવાનું એક જ કારણ આપવામાં આવી રહ્યું હતું કે, ફ્લાઈટમાં કામ કરતા સ્ટાફની ડ્યુટી પૂરી થઈ ગઈ છે અને ત્યારબાદ સ્ટાફ દ્વારા ડ્યુટી પર પરત આવવાની મનાઈ કરી દેવામાં આવી રહી હોવાથી ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે. તમામ મુસાફરોનો એક જ વાત હતી કે અમને રિફંડ મળવું જોઈએ. તેનો પણ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. માત્ર એટલું જ કહેતા હતા કે મેઈલ કરી દો મેઈલ કરી દો. ઇન્ડિગોની બેજવાબદારથી અટવાયેલા એક રેલવેની પરીક્ષાના પરીક્ષાર્થી નઈમે જણાવ્યું હતું કે, હું આવ્યો છું ગોવાથી. ગોવાથી સુરત, સુરતથી દિલ્હી અને સવાર 3 ડિસેમ્બર સવારે 8:30 વાગ્યાનું રેલવેની પરીક્ષાનું પેપર છે. ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે, તેમણે જવાબ આપ્યો કે અમે કરાવી દઈએ છીએ, પણ તે કરાવી નથી રહ્યા, કોઈ પ્રયાસ જ નથી કરી રહ્યા. અહીં મેં પંકજ સર સાથે પણ વાત કરી છે, અહીંયા જે સ્ટાફ છે, તેમની સાથે પણ વાત કરી છે. તેઓ કહી રહ્યા છે કે કરીએ છીએ, કરીએ છીએ. આ કંઈ કરવા માટે તૈયાર નથી. હવે એ કહો મારો સવારનો પેપર છે. મારી તો બધી મહેનત પર પાણી ફરી વળ્યું, જેટલી પણ મેં તૈયારી કરી છે. હવે હું શું કરું?
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અરસાણા ગામે એક શ્રમિક મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશથી મજૂરી અર્થે આવેલી આ મહિલાની આ ચોથી ડિલિવરી હતી. ડિલિવરી દરમિયાન બાળકનું ગળું નાળમાં ફસાઈ ગયું હતું, પરંતુ 108 ના EMTએ 'ટુ-ફિંગર મેથડ'નો ઉપયોગ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. હાલ માતા અને બાળક બંનેની તબિયત સ્થિર છે. અરસાણા ગામે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા દિલસદભાઈ ખાતૂનની પત્ની રેફુલબાનુંને ચોથી ડિલિવરીનો દુખાવો ઉપડતાં તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મરોલી સિવિલમાં સ્થિત 108 એમ્બ્યુલન્સને કોલ મળતા જ EMT કુલદીપસિંહ રહેવર અને પાઇલોટ અજયભાઇ ગાંવિતની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. રસ્તામાં જતા EMT કુલદીપસિંહે કોલ કરનાર દિલસદભાઈને 'પ્રિ-અરાઈવલ' સલાહ આપી હતી. તેમણે રેફુલબાનુંને ડાબે પડખે સુવડાવી રાખવા, હલનચલન ન કરાવવા અને જરૂરી કાગળો તૈયાર રાખવાની સૂચના આપી હતી. બુલેટ ટ્રેનના કામને કારણે રસ્તો ખરાબ હોવા છતાં, ટીમ 10 થી 15 મિનિટમાં દર્દીના ઘર સુધી પહોંચી ગઈ હતી. રેફુલબાનુંને એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે માત્ર 2 થી 3 કિમીના અંતરમાં જ તેમને અસહ્ય પીડા થવા લાગી. સ્થિતિની ગંભીરતા જોતા EMT કુલદીપસિંહે પાઇલોટ અજયભાઇને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઊભી રાખવા જણાવ્યું. તપાસ કરતા બાળકનું માથું દેખાતું હતું અને ડિલિવરીની તૈયારી હતી, તેથી EMT કુલદીપસિંહે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની શરૂઆત કરી હતી. બાળકનો જન્મ થયો, પરંતુ તેના ગળામાં નાળ ફસાઈ ગઈ હતી, જેનાથી તેનું જીવન જોખમમાં મુકાયું હતું. 108 ટ્રેનિંગ સેન્ટરમાં શીખવવામાં આવેલી 'ટુ-ફિંગર મેથડ'નો ઉપયોગ કરીને EMTએ સફળતાપૂર્વક નાળને બાળકના ગળામાંથી દૂર કરી. શરૂઆતમાં બાળક ન રડતાં, તરત જ 'સક્સન' કરવામાં આવ્યું, જેના પછી બાળકે રડવાનું શરૂ કર્યું. આ રીતે, EMT કુલદીપસિંહે માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો. પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યોરેફુલબાનુંને અગાઉ ત્રણ દીકરીઓ હતી અને ચોથી ડિલિવરીમાં દીકરાનો જન્મ થયો, તે પણ 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેમણે મરોલી 108 એમ્બ્યુલન્સની ટીમ (EMT કુલદીપસિંહ રહેવર અને પાઇલોટ અજયભાઇ ગાંવિત)નો ખૂબ આભાર માન્યો હતો.ડિલિવરી પછી રેફુલબાનુંને ચક્કર આવતા હોવાથી EMT કુલદીપસિંહે તાત્કાલિક નોર્મલ સલાઈનનો બોટલ ચડાવી જરૂરી ઇન્જેક્શન આપ્યા અને તેમને મરોલી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 'ગુડ જોબ'નું બિરુદ આપી સન્માનમરોલી સિવિલ હોસ્પિટલના ડૉ. સાગર સર અને સ્ટાફ નર્સે પણ 108 એમ્બ્યુલન્સની ટીમના વખાણ કર્યા હતા. આ વાતની જાણ થતાં નવસારી જિલ્લાના 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકી સાહેબે મરોલી 108 એમ્બ્યુલન્સની ટીમને 'ગુડ જોબ'નું બિરુદ આપી સન્માનિત કરી હતી.
પારડીના આમળી ગામે યુવક પર દીપડાનો હુમલો:બાઈક પર ઘરે જતા યુવક ઘાયલ, લોકોમાં દહેશત
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામે મંગળવારે સાંજે નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 32 વર્ષીય વિમલ જશવંતભાઈ નાયકા ઘાયલ થયા હતા, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. નવેરી ગામ, મંદિર ફળીયા ખાતે રહેતા વિમલ નાયકા બગવાડા ખાતેના ફોર વ્હીલર શોરૂમમાં નોકરી કરે છે. તેઓ સાંજે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ડુંગરી રોડ પર ભેંસુ ખાડી પાસેથી પસાર થતી વખતે અચાનક ઝાડીમાંથી દીપડો બહાર આવી ગયો હતો. દીપડાના પંજાથી વિમલના જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા. હુમલાથી ગભરાયેલા વિમલે બૂમો પાડતા દીપડો પાછો જંગલ તરફ ભાગી ગયો હતો. બાદમાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિમલને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ આમળી ગામ અને આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને તાત્કાલિક પગલાં લઈ દીપડાને પકડી પાંજરે પૂરવા અને વિસ્તારમાં પશુપાલકો તથા સ્થાનિક લોકો માટે સુરક્ષા વ્યવસ્થા વધારવા માંગ કરી છે.
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે. ટ્વિટમાં લખ્યું છે કે, દેશમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ સરેરાશ 4 ટકા છે તેની સામે ગુજરાતમાં ફક્ત 1.48 ટકા જ છે. સાથે કહ્યું કે, યાદ રાખજો 2027માં ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે. गुजरात में चल रही कांग्रेस की जन आक्रोश यात्राओं के दौरान लोगों ने, खासकर महिलाओं ने, बार-बार कहा है कि राज्य में बढ़ते नशे, अवैध शराब और अपराध ने उनके जीवन में असुरक्षा को गहरा दिया है।गुजरात महात्मा गांधी और सरदार पटेल की वह धरती है, जहां सत्य, नैतिकता और न्याय की परंपरा रही…— Rahul Gandhi (@RahulGandhi) December 2, 2025 રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો છેડ્યોરાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે, રાજ્યમાં વધતા નશા, ગેરકાયદે દારુ અને ગુનાખોરીના કારણે તેઓના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ રહી છે. જ્યાં સત્ય, નૈતિક્તા અને ન્યાયની પરંપાર રહી છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. गुजरात में महिलाओं के खिलाफ अपराध की दर मात्र 1.48% है, जो राष्ट्रीय औसत 4% से भी आधे से कम है।माताओं-बहनों की सुरक्षा के मामले में गुजरात पहले नंबर पर था, है और आगे भी पहले नंबर पर रहेगा। 2027 के गुजरात चुनाव में याद रखना, कांग्रेस सिंगल डिजिट में सिमट कर रह जाएगी। https://t.co/zdEO1eurYt— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) December 2, 2025 રાહુલ ગાંધીના ટ્વિટના જવાબમાં રીવાબાએ જવાબ આપ્યોશિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે. જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતા અડધો છે. માતાઓ-બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર હતું, છે અને આગળ પણ રહેશે. 2027માં ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે.
જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમની આજની અને આગામી પાંચ દિવસની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. આ અંગે સંબંધિત વ્યક્તિઓને જાણ કરવામાં આવી છે. જામસાહેબે આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. હવે પછી મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી જ એપોઇન્ટમેન્ટ મંજૂર કરવામાં આવશે. જામસાહેબનો સંદેશ- કૃપા કરીને તેને રમતિયાળ રીતે લેવા અને તેનાથી કોઈને થતી કોઈપણ અસુવિધા બદલ માફી માંગવા વિનંતી સાથે. સંબંધિત વ્યક્તિઓને જણાવવામાં આવે છે કે, થોડી ચિંતાજનક તબિયતને કારણે, આજ અને આગામી પાંચ (5) દિવસ માટેની બધી એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. હવે પછી ફક્ત મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી જ એપોઇન્ટમેન્ટ મંજૂર કરવામાં આવશે.
વલસાડ શહેર અને જિલ્લામાં બુધવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે મંગળવાર જેટલું જ રહ્યું છે. હવામાન વિભાગના મતે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જિલ્લામાં સૌથી ઓછું તાપમાન ધરમપુરમાં 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પારનેરા ડુંગર પર પણ ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર, આગામી છ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર પૂર્વ-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સવારના સમયે ઠંડીનો વધુ અનુભવ થયો હતો. શહેરના માર્ગો પર લોકો સ્વેટર, જેકેટ અને શાલમાં જોવા મળ્યા હતા. ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા કાર્યોમાં વ્યસ્ત છે. ઠંડી વધતા ખેડૂતો આંબામાં રોગ-જીવાતનાં નિયંત્રણ માટે સાવચેતીના પગલા લઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ, રાત્રે તાપમાન 19 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે અને દિવસ દરમિયાન 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને 21 ડિગ્રી નોંધાયું છે. આ ઘટાડાને કારણે વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હતું, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં સવારના સમયમાં ઠંડીનો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, ગતરોજ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે લઘુત્તમ તાપમાન ધીમે ધીમે ઘટીને 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં ઠંડીનો વધુ અનુભવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સેશન્સ કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. આ કેસમાં આરોપી જયેશ ભુપતભાઈ ઠાકરને એક વર્ષની જેલ અને ₹6,45,000 નો દંડ ભરવાનો આદેશ અપાયો છે. મોરબીમાં મહેશ હોટલ-ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમણે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો. આથી, સોસાયટી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ જયેશ ઠાકર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની જેલ અને ચેકની રકમ જેટલો દંડ ફટકાર્યો હતો. આ હુકમથી નારાજ થઈ જયેશ ઠાકરે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ટ્રાયલ કોર્ટના રેકોર્ડ અને કેસની હકીકતોને ધ્યાનમાં લઈને ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને અપીલ નામંજૂર કરી હતી.
પાટણમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીને ઝટકો:સેશન કોર્ટે ગંભીર ગુનો ગણી આરોપીની જામીન અરજી નામંજૂર કરી
પાટણના અનાવાડા વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપી ભરવાડ મેરાભાઈ ઉર્ફે બલાભાઈ રાજાભાઈ (ઉંમર 55, રહે. અનાવાડા, તા. પાટણ)ની નિયમિત જામીન અરજી પાટણની સેશન કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે ફગાવી દીધી છે. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કરે આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે અરજદાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3), 5 વગેરે 2 હેઠળ ગંભીર ગુનાનો આરોપ છે. વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદીના નાનાએ આરોપી બોઘાભાઈને જમીન ઉધેડ (ભાડાપટ્ટે) આપી હતી. અરજદાર અને અન્ય આરોપીઓએ તેનો દુરુપયોગ કરીને ઉધેડની રકમ પણ ચૂકવી નથી. તેમણે આ જમીન પચાવી પાડી ગેરકાયદેસર મકાનો બનાવી બિનઅધિકૃત કબજો કર્યો છે અને કબજો ખાલી કરતા નથી. આરોપીએ આ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે. આરોપી અને અન્ય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીની જમીન પર ગેરકાયદેસર પાકા મકાનો બનાવ્યા છે, જેના માટે પંચાયતની કોઈ પરવાનગી પણ મેળવી નથી. પાટણ જિલ્લા કલેક્ટર તરફથી પત્ર મળ્યા બાદ ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી હતી. ચાર્જશીટ દાખલ થયા પછી પણ સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે, નાસી છૂટી શકે છે અથવા ટ્રાયલ સમયે કોર્ટમાં હાજર ન રહે તેવી શક્યતા છે. ગુનાની ગંભીરતા અને તપાસ કરનાર અધિકારીના સોગંદનામાની હકીકતોને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી નામંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પાટણ કોર્ટે બંને પક્ષકારોની દલીલો ધ્યાનમાં લીધી હતી. આ કેસમાં આરોપી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ 15 જૂન, 2021ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને, આ કોર્ટમાં આરોપી અને અન્ય આરોપીઓ દ્વારા આગોતરા જામીન મેળવવા માટેની અરજી ગુણદોષના આધારે નામંજૂર કરવામાં આવી હતી. રેકોર્ડ મુજબ, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે કોઈ અરજી દાખલ કરવામાં આવી ન હતી. જોકે, આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે પાછળથી પરત ખેંચી લેવામાં આવી હતી.
અમદાવાદના ઘી કાંટામાં આવેલા ગારમેન્ટ બજારમાં હોલસેલ શર્ટની દુકાનમાં કામ કરતો કારીગર જ ગોડાઉનમાંથી શેઠની જાણ બહાર 1496 ચોરી કરીને લઈ ગયો હતો.આ અંગે શેઠને બીજા વેપારી મારફતે જાણ થતા તપાસ કરી હતી. ત્યારે સીસીટીવીમાં કારીગર જ શર્ટ ભરેલું કાર્ટુન લઈ જતો દેખાયો હતો. આ અંગે શેઠે કારીગર વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારી મિત્રનો ફોન આવ્ચો ને ભાંડો ફૂટ્યોઘોડાસરમાં રહેતા હિતેશ પટેલ ઘી કાંટા ખાતે આવેલા કર્ણાવતી પ્લેટિનિયમમાં હોલસેલ શર્ટની દુકાન ધરાવે છે.26 નવેમ્બરના રોજ તેમના વેપારી મિત્ર રાજેન્દ્રસિંહનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ગોડાઉનમાંથી તમારા ત્યાં નોકરી કરતો રોહિત શર્ટના માલ ભરેલું કાર્ટુન લઈને જતો હતો. સ્ટોક ચેક કર્યો ત્યારે 1496 શર્ટ ઓછા હતાજેથી હિતેશભાઈએ ગોડાઉન જઈને કેમેરા ચેક કર્યા હતા ત્યારે સવારે 9 વાગ્યાની આસપાસ ડુપ્લીકેટ ચાવીથી રોહિત ગોડાઉનની અંદર રાખેલા માલ બહાર લઈ જતો હતો. જ્યારે તેમને સ્ટોક ચેક કર્યો ત્યારે 1496 શર્ટ ઓછા હતા. રોહિત શર્ટના માલ ભરેલા કાર્ટુન લઈ ગયોસીસીટીવી ફૂટેજમાં રોહિત જ શર્ટના માલ ભરેલા કાર્ટુન લઈ જતા દેખાઈ રહ્યો હતો.રોહિતે કુલ 3.74 લાખ રૂપિયાના શર્ટની ચોરી કરી હતી. આ અંગે હિતેશભાઈએ રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
તલોદમાંથી 60 ચાઈનીઝ દોરી ફીરકી સાથે એક ઝડપાયો:ગોકુલનગર સોસાયટીના સચિન જયસ્વાલ વિરુદ્ધ કાર્યવાહી
સાબરકાંઠા SOG ટીમે તલોદમાંથી એક યુવકને 60 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીનું નામ સચિન લક્ષ્મણપ્રસાદ જયસ્વાલ (ઉ.વ. 20) છે, જે તલોદની ગોકુલનગર સોસાયટી, જુના બળીયાદેવ મંદિરની પાછળ રહે છે. તેની પાસેથી રૂ. 24,000ની કિંમતની 60 ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી. SOG ટીમે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે કેશરપુરા ચોકડીથી ઉજડીયા જતા રોડ ઉપરથી સચિનને પકડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સુરત વિસ્તારના ઝડપી શહેરીકરણ અને ભવિષ્યની વિકાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. SUDA વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલ કુલ આઠ સૂચિત મુસદ્દારૂપ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ - ટી.પી. સ્કીમ્સને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ-48(1) હેઠળ ગુજરાત સરકારની મંજુરી અર્થે પાઠવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ યોજનાઓનું કુલ ક્ષેત્રફળ 1591.85 હેક્ટર જેટલું છે જેમાં ખાસ આઉટર રિંગ રોડ અને SMC હદ વચ્ચેના 4 વિસ્તારો માટે TP યોજનાઓ તૈયાર કરવામાં આવ્યું છે.. 8 ટી.પી. સ્કીમ્સને સરકારની મંજુરી અર્થે પાઠવવા માટે નિર્ણય લેવાયોઆ પ્રસ્તાવિત નગર રચના યોજનાઓ દ્વારા વિસ્તારનું સર્વાંગી આયોજન, ટ્રાફિક વ્યવસ્થા સુધારણા, જાહેર સેવાઓનું વિસ્તરણ તથા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું તબક્કાવાર અમલીકરણ સુવ્યવસ્થિત રીતે શક્ય બનશે. બેઠકમાં મુખ્યત્વે બે વિસ્તારો માટે નગર રચના યોજનાઓ સરકારની મંજુરી અર્થે પાઠવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કામરેજ–પલસાણા કોરિડોર વિસ્તારપ્રથમ વિસ્તાર છે કામરેજ–પલસાણા કોરિડોર વિસ્તાર, જેમાં ચાર ટી.પી. યોજનાઓનો સમાવેશ થાય છે. આમાં ટી.પી.-70 (કામરેજ) ક્ષેત્રફળ: 136.41 હે., ટી.પી.-71 (વાવ) ક્ષેત્રફળ: 140.55 હે., ટી.પી.-72 (વાવ) ક્ષેત્રફળ: 102.78 હે., અને ટી.પી.-73 (વાવ-કોસમાડી) ક્ષેત્રફળ: 239.88 હે. નો સમાવેશ થાય છે. આ યોજનાઓથી કામરેજ-પલસાણા પટ્ટી પરના આંતરિક માળખાકીય સુવિધાઓને મોટો ફાયદો થશે. આઉટર રિંગ રોડ તથા SMC હદ વચ્ચેનો વિસ્તારબીજો મહત્વનો વિસ્તાર છે આઉટર રિંગ રોડ તથા SMC હદ વચ્ચેનો વિસ્તાર, જેમાં પણ ચાર ટી.પી. યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં ટી.પી.-86 (વેડછા-નિયોલ) ક્ષેત્રફળ: 174.00 હે., ટી.પી.-89 (દખ્ખણવાડા-સેઢાવ) ક્ષેત્રફળ: 221.21 હે., ટી.પી.-90 (દેલાડવા) ક્ષેત્રફળ: 242.58 હે., અને ટી.પી.-91 (દેલાડવા) ક્ષેત્રફળ: 234.44 હે. નો સમાવેશ થાય છે. આ વિસ્તાર સુરત શહેરની હદની નજીક હોવાથી, આ યોજનાઓ ભવિષ્યના વિકાસને સુવ્યવસ્થિત કરવામાં નિર્ણાયક સાબિત થશે. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશેઆ આઠ નગરરચના યોજનાઓના અમલથી અનેકવિધ લાભો થશે. સૌથી મહત્વની બાબત એ છે કે મુખ્ય માર્ગો અને આંતરિક જોડાણ માર્ગો સહિતનું રોડ નેટવર્ક મજબૂત બનશે, જેનાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે. આ ઉપરાંત, શાળા, આરોગ્ય સુવિધાઓ અને ગાર્ડન/ઓપન સ્પેસ જેવી જાહેર સુવિધાઓ માટે જરૂરી જમીન ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો, ડ્રેનેજ/સ્ટોર્મ વોટર, પાણી પુરવઠા, તથા અન્ય યુટિલિટી સેવાઓ જેવા આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજનબદ્ધ અમલીકરણ સરળ બનશે.
ગોધરામાં રખડતા શ્વાનનો આતંક યથાવત:શહેર અને ભામૈયા વિસ્તારમાં એક જ દિવસમાં 11 લોકોને બચકા ભર્યા
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. તાજેતરમાં, ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં એક જ દિવસમાં 11 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભર્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓ, કલાલ દરવાજા, નગરપાલિકા રોડ, ચિત્રા સિનેમા અને જૂની પોસ્ટ ઓફિસ જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને ખાસ કરીને નાના બાળકો ઘરની બહાર રમવા જતાં ડરે છે. બહારથી આવતા લોકો પણ શ્વાનના ભયને કારણે આસપાસના ઘરોમાં જવાનું ટાળે છે. ગોધરા નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નગરપાલિકા રખડતા શ્વાનોને પાંજરે પૂરવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. લોકોને રખડતા શ્વાનથી ક્યારે મુક્તિ મળશે તે એક મોટો પ્રશ્ન છે. ગઈકાલે સવારથી મોડી રાત સુધીમાં ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં કુલ 11 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરી ઘાયલ કર્યા હતા. આ તમામ ઘાયલોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા તેમને રેબીઝ વિરોધી રસી (વેક્સિન) આપવામાં આવી હતી. ગોધરા શહેરમાં રખડતા શ્વાનોના વધતા આતંકને ધ્યાનમાં રાખીને, ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા રેબીઝ વિરોધી રસીનો પૂરતો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે, જેથી આવા કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર પૂરી પાડી શકાય.
વડનગર પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને દબોચી લીધો છે.અગાઉ પણ પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો હતો.સમગ્ર કેસમાં પોલીસે ચાઈનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ આદરી છે. ચાઈનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને દબોચ્યોવડનગર પોલીસ મથકના પો.કો અલ્પેશ કુમાર થતા પો.કો ચતુરજી રાત્રે વડનગર તાલુકા પોલીસ હદમાં પેટ્રોલીંગ પર હતા, એ દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુંઢિયા ગામે રહેતા રાજપૂત બાબુજી ચતુરજી ઉંમર 48 વર્ષનો વ્યક્તિ પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું અને તુકકલ વેચાણ કરતો હોવાની જાણ પોલીસને થઈ હતી. ચાઈનીઝ દોરીના મુદ્દામાલ જપ્તબાતમી આધારે પોલીસે રાત્રે દરોડા પાડી ચાઈનીઝ દોરીના 720 નંગ રીલ કિંમત 1,44 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દોરી વેચનાર રાજપૂત બાબુજીને ઝડપી લેવામાં આવ્યો હતો અને આ દોરી લાવનાર પટેલ હરેશભાઇને વોન્ટેડ જાહેર કરી પોલીસે બન્ને વિરુદ્ધ BNS કલમ 223,54 મુજબ ગુન્હો નોંધી તેણે ઝડપવા પોલીસે તજવીજ આદરી છે.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના માર્ગ પર દીપડો આવ્યો હોવાની વાત મળતાં ગ્રામજનો સ્થળ પર ગયા હતા. જ્યાં અચાનક ઝાડીમાંથી આવેલાં દીપડાએ ટોળા પાછળ દોટ મારી હતી, જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. દીપડાએ અચાનક હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક યુવાનો બચવા માટે કેનાલમાં કૂદી પડયા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે. હુમલાબાદ દીપડો ફરી ઝાડીઓમાં ફરાર થઇ જતાં વન વિભાગે 2 પાંજરા મૂકી પકડવા કવાયત હાથ ધરી છે. અચનાક ઝાડીમાંથી નીકળી દીપડો ત્રાટક્યોઠાસરા તાલુકામાં આવેલા ઉધમતપુરાથી જલાનગરજવાના માર્ગ પર આવેલી કેનાલ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા બાદ મંગળવારે કેટલાક યુવકો કેનાલ પાસે તપાસ કરવા અને દીપડો જોવા ગયા હતા. આ સમયે આસપાસના ગ્રામજનો પણ એકત્ર થઈ જતાં કેનાલની આસપાસ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. લોકો કેનાલની બંને તરફ દીપડાને શોધી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડો ઝાડી- ઝાંખરામાંથી નીકળી ટોળાં તરફ દોડી આવતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ચાર લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયાઆ દરમિયાન દીપડાએ હવામાં છલાંગ લગાવી એક યુવક પર હુમલો કર્યા બાદ ઝાડીમાં ભાગી ગયો હતો. જોકે, એ પહેલાં દીપડાએ ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં વિનુભાઇ રાઠોડ, અર્જુનભાઇ તળપદા, પ્રવેશકુમાર પરમાર અને જયેશભાઇ પરમાર દીપડાના હુમલાના કારણે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઇજા અર્જુનભાઇ તળપદાને પહોંચતા તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. દીપડો પાંજરે ન પૂરાતા સ્થાનિકોમાં ફફડાટઆ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને તેને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે, હજી સુધી દીપડો પાંજરે ન પૂરાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમે ઉભા હતા ને અચાનક દીપડો આવ્યો: કનુભાઈ પરમારગામના સ્થાનિક કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે, 1:30 વાગ્યાની આસપાસ અમને જાણવા મળ્યું હતું કે ઉધમપુરા ગામની સીમમાં દીપડો આવ્યો છે જે બાદ અમે ગામની સીમમાં પહોંચ્યા ત્યારે અમે દીપડો જોયો હતો. મોટી સંખ્યામાં લોકો હોવાથી દીપડો ત્યાંથી નીકળવા માટે પ્રયત્ન કરતો હતો. તે દરમિયાન દીપડો નીકળ્યો તે બાજુ ચાર પાંચ માણસો હતા તેમની પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ચાર માણસોને સરકારી દવાખાનામાં મોકલવામાં આવ્યા હતા જે બાદ મોટી કેનાલની પાળ તરફ દીપડો જતો રહ્યો હતો. દીપડો પકડાય નહીં ત્યાં સુધી અમને બીક રહેશે: બાબુભાઈ પરમારબાબુભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમને દીપડાના સમાચાર મળ્યા હતા જે બાદ ગ્રામજનો દીપડાને જોવા માટે આવ્યા હતા. આશરે હજાર માણસ ભેગું થયું હતું. ત્રણ ચાર માણસો હુમલો કર્યો હતો જેમને પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમે વન વિભાગને જાણ કરી હતી જે બાદ દીપડાને પકડવા માટે પાંજરું આવી ગયું હતું. જોકે, દીપડો પકડાય નહીં ત્યાં સુધી ગામના લોકોમાં ભયનો માહોલ રહેશે. ફોરેસ્ટ અધિકારીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરીઆ અંગે ખેડા જિલ્લા ફોરેસ્ટ અધિકારીએ વીડિયોમાં લોકોને દીપડાથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને સીમ વિસ્તારમાં બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકોને ઘરની બહાર ન જવા દેવા અને બહાર બાંધેલા ઢોરોની પાસે ન સૂવા જેવી સૂચનાઓ આપી છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો અમુક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો. ગઈકાલે નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેથી નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 1.2 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થયો હતો. ડીસામાં ગઈકાલે 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ 0.3 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈને ગઈકાલે 16.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરેક શહેરમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો ઘટાડો ગુજરાતના મુખ્ય શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. અમદાવાદમાં 0.3C નો વધારો થતાં તાપમાન 16.8C પર પહોંચ્યું હતું, જ્યારે વડોદરામાં 0.4C વધીને 15.8C અને ભાવનગરમાં 0.2C વધીને 18C નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં દીવમાં 0.8C નો વધારો જોવા મળ્યો અને તાપમાન 16.4C રહ્યું હતું, જ્યારે સુરતમાં 1C વધીને 18.6C લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 1C નો વધારો થતાં 11C સાથે સૌથી ઠંડું સ્થળબીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.રાજકોટ માં સૌથી મોટો 1.5C નો ઘટાડો નોંધાતા તાપમાન 14.3C પર પહોંચી ગયું હતું. ભુજમાં 1.2C ઘટીને 14.8C અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં પણ 1.2C ઘટીને 15.2C તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં, દ્વારકામાં 1C ઘટીને 18.6C, કંડલામાં 1C ઘટીને 16.5C, પોરબંદરમાં 0.8C ઘટીને 16.4C અને વેરાવળમાં 0.4C ઘટીને 18.9C તાપમાન રહ્યું હતું. માત્ર નલિયામાં 1C નો વધારો થવા છતાં 11C સાથે સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું, જ્યારે ઓખામાં 0.2C ના ઘટાડા સાથે સૌથી વધુ લઘુતમ તાપમાન 21.3C નોંધાયું હતું.
ગઢડાના વાવડી ગામે ખનીજ વિભાગની રેડ:બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનન ઝડપાયું, ₹35 લાખનો મુદ્દામાલ સીઝ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનન ઝડપાયું છે. ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે દરોડો પાડી ₹35 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. બોટાદ કલેક્ટરની સૂચના અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલી બિનઅધિકૃત ખનિજ ખનન, વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ, બોટાદની તપાસ ટીમે વાવડી ગામે આકસ્મિક ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન સ્થળ પર બિલ્ડીંગ લાઇમસ્ટોન (બેલા)નું ખનન ચાલુ હોવાનું જણાયું હતું. ટીમે લાઇમસ્ટોન કાપવાની ત્રણ ચકરડી અને ત્રણ ટ્રેક્ટર સહિત કુલ આશરે ₹35,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગેની માહિતી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોંધરા દ્વારા આપવામાં આવી હતી. આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. 6E-5126/6087 મુંબઈ વડોદરા મુંબઈની ફલાઈટ રદઆજે સવારે 7.20 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-5126/6087 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 કલાકે આવે છે અને પરત વડોદરાથી 7.50 કલાકે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે. મુસાફરોને અન્ય ફલાઈટમાં મોકલાશેમુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે મુંબઈથી આવનાર ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે. અગાઉ ફલાઈટ બેથી અઢી કલાક લેટ પડી હતીઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-5131/5164 દિલ્હી વડોદરા દિલ્હી સમય કરતા બેથી અઢી કલાક લેટ પડી હતી. સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 2881/2882 દિલ્હી વડોદરા દિલ્હી સમય કરતા 45થી એક કલાક સુધી મોડી પડતા મુસાફરો અટવાયા હતા. જ્યારે વડોદરાથી મુંબઈ જનાર ફ્લાઈટ નંબર 6E-5138 ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ પણ અડધો કલાક લેટ પડી હતી. આમ છેલ્લા કેટલાક સમયથી ફલાઈટના સમય અને રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગી છે. જેના કારણે અનેક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા છે. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યું છે અને દર્દીઓનું રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
કચ્છ જિલ્લાના ભચાઉમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ટ્રકે પાછળથી ટેમ્પોને ટક્કર મારીઆ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભચાઉના નવી મોટી ચિરઇ ગામ નજીક આવેલી બુંગી કંપનીમાં કામ કરતા 15થી 17 જેટલા શ્રમિકો નાઇટ શિફ્ટ પુરી કરીને ટેમ્પોમાં બેસીને નજીકના પડામાં આવેલી મજૂર વસાહત તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન સિમેન્ટના પાઇપ ભરેલા ટ્રકે પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પો પલટી જતા બેના ઘટનાસ્થળે જ મોતટ્રકની ટક્કરથી ટેમ્પો પલટી જતા બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક શ્રમિકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ટેમ્પોચાલક સહિત અન્ય શ્રમિકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. હાઇવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિકજામ ખુલ્લો કરાવ્યોવહેલી સવારે ધોરીમાર્ગ પર અકસ્માત થતાં નેશનલ હાઇવેના અધિકારી શૈલેષ રામી હાઇવે પેટ્રોલિંગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને સારવાર માટે ખસેડી હાઇવે પર થયેલો ટ્રાફિકજામ ખુલ્લો કરાવ્યો હતો.
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના કલાકારોના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા. જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
આજીવન કેદનો આરોપી ત્રણ વર્ષે ઝડપાયો:વચગાળાના જામીન પરથી ફરાર બળદેવ ભરવાડને SOGએ પકડ્યો
સુરેન્દ્રનગર SOGએ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા આરોપી બળદેવ જશાભાઈ ભરવાડને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર હતો. તેને આણંદ જિલ્લાના મોગર ગામ પાસેથી પકડવામાં આવ્યો હતો. બળદેવ ભરવાડ વઢવાણ પોલીસ સ્ટેશનના ગુના નંબર ૯૩/૨૦૧૪, IPC કલમ ૩૦૨ હેઠળ હત્યાના કેસમાં દોષિત ઠર્યો હતો. તેને આજીવન કારાવાસની સજા થઈ હતી અને તે સાબરમતી જેલ, અમદાવાદમાં કેદી નંબર S-૧૫૯૯૩ તરીકે સજા ભોગવી રહ્યો હતો. આરોપીએ છ વર્ષની સજા ભોગવ્યા બાદ 15 એપ્રિલ, 2022ના રોજ વચગાળાના જામીન પર જેલમાંથી છૂટકારો મેળવ્યો હતો. જોકે, તે નિર્ધારિત સમયસર જેલમાં હાજર થયો ન હતો અને ત્યારથી ફરાર હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ, SOG સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ અભેસંગભાઈ ખેરને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપીનો પરિવાર આણંદના મોગર ગામમાં રહેતો હતો અને તે ગુપ્ત રીતે પરિવારને મળવા આવવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બળદેવ ભરવાડને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ પોતે લીંબડી, સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું અને છેલ્લા ત્રણ વર્ષથી જામીન પરથી ફરાર હોવાની કબૂલાત કરી હતી. SOGએ કાયદેસરની કાર્યવાહી કરીને તેને અમદાવાદની સાબરમતી જેલને હવાલે કર્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરુદ્ધસિંહ મહીપતસિંહ ઝાલા, HC અનિરુદ્ધસિંહ અભેસંગભાઈ ખેર, PC ફુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ, PC મીતભાઈ દિલીપભાઈ મુંજપરા, PC સાહીલભાઈ મહંમદભાઈ સેલત અને ડ્રા.PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
પાટણ પાલિકા પડતર પ્લોટ માલિકોને નોટિસ અપાશે:સ્વચ્છતા જાળવવા સફાઈ ન કરનારા સામે કાર્યવાહી થશે
પાટણ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા સુધારવા મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી પડતર અને ગંદકીથી ભરેલા ખાનગી પ્લોટ્સને કારણે રોગચાળાનો ભય છે. આથી, પાલિકા આવા પ્લોટ માલિકોને નોટિસ પાઠવશે અને તેમને નિયમિત સફાઈ જાળવવા સૂચના આપશે. આ નિર્ણય પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી એક બેઠકમાં લેવાયો હતો. જેમાં પ્રમુખ હિરલબેન પરમાર અને સ્વચ્છતા ચેરમેન હરેશભાઈ મોદીએ સ્વચ્છતા વિભાગના અધિકારીઓ સાથે શહેરની સ્વચ્છતાની સ્થિતિ સુધારવા ચર્ચા કરી હતી. બેઠકમાં સેનેટરી ઇન્સ્પેકટર, સિટી મેનેજર અને વોર્ડ ઇન્સ્પેકટરો હાજર રહ્યા હતા. શહેરની અનેક સોસાયટીઓમાં મિલકતધારકોએ પ્લોટ ખરીદ્યા પછી બાંધકામ કર્યું નથી કે તેની સારસંભાળ લીધી નથી. પરિણામે, આ પ્લોટ્સ કચરાના ઢગલા, ગંદકી અને ઝાડી-ઝાંખરાથી ભરાઈ ગયા છે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાઈ રહેવાથી અસ્વચ્છતા અને અનારોગ્યની સ્થિતિ સર્જાય છે, જે આસપાસના રહેવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પાલિકા નોટિસ દ્વારા પ્લોટ ધારકોને તેમના પ્લોટની ફરતે દિવાલ કે ફેન્સિંગ બનાવવા અથવા સમયાંતરે તેની સફાઈ કરાવવા માટે જાગૃત કરશે. નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલાં શહેરના દબાણો અને રખડતા ઢોરના મામલે પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા સૂચના અપાઈ હતી. પ્રમુખે રખડતા ઢોર પકડવા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ન મળતો હોવાની મુશ્કેલી વ્યક્ત કરી હતી. શાકભાજીની લારીઓના દબાણોનો સર્વે કરાવીને તેમને નજીકના પોઈન્ટ પર વ્યવસ્થાપિત કરવાની સૂચના અપાઈ. શહેરને સ્વચ્છ રાખવા માટે સવારે ૧૦ વાગ્યા પછી અને રાત્રે ૯ વાગે એમ બે સમય બજારમાં કચરાગાડી (ઘંટા ગાડી) ફેરવવાનું સૂચન પણ કરાયું. હોટલના વેપારીઓની મીટિંગ બોલાવીને તેમની પાસેથી કચરો લેવાની ચોક્કસ રકમ નક્કી કરીને નગરપાલિકાની આવકનો સ્ત્રોત ઊભો કરવા અને સ્વચ્છતા જાળવવા સૂચન કરાયું. રખડતા ઢોરના માલિકોની મીટિંગ બોલાવીને તેમને તેમનાં ઢોરની યોગ્ય વ્યવસ્થા કરવા સમજાવવા પર ભાર મૂકવામાં આવ્યો. શહેરમાં ચાલતી લારીઓ અને દરેક વોર્ડમાં ખાણી-પીણીના સ્ટોલનો સર્વે કરીને, પાવતી (રસીદ) વગર કોઈને ઊભા રહેવા ન દેવાની સૂચના અપાઈ. સ્વચ્છતા શાખામાં સફાઈ કર્મચારીઓની સંખ્યા ૬૦ કરવા અને સ્વચ્છતાના સાધનોના રિપેરિંગ, લાઈટ અને ટાયરોની ખરીદી કરવા સહિતના સૂચનો પણ કરવામાં આવ્યા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોના અમલથી પાટણ શહેરની સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો લાવવાની આશા છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની આકસ્મિક ચકાસણી માટે ચાર સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજોમાં થતી અનિયમિતતાઓ અને ગેરરીતિઓને અટકાવવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પૌરીયાએ માહિતી આપતા જણાવ્યું કે, યુનિવર્સિટીના સ્ટેચ્યુટ 3 (16) હેઠળ સંલગ્ન કોલેજોની ચકાસણી માટે આ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં કુલ ચાર ટીમો બનાવવામાં આવી છે અને તે કાર્યરત કરી દેવાઈ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લામાં 600થી વધુ કોલેજો આવેલી છે. આ કોલેજોમાં બોગસ કોલેજો, ભૂતિયા છાત્રો અને માત્ર બોર્ડ લગાવીને ગમે તે સ્થળે ચાલતી કોલેજો અંગે અવારનવાર ચર્ચાઓ અને ફરિયાદો ઉઠતી રહી છે. આવી અનિયમિતતાઓ, લાલીયાવાડી અને ગેરરીતિઓ ખુલ્લી પાડી શકાય અને તેને અટકાવી શકાય તે માટે યુનિવર્સિટી દ્વારા આ ચકાસણી સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં કુલ ચાર મુખ્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના ઈસી મેમ્બર એમ.કે. પટેલ (પાટણ), બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપભાઈ ચૌધરી (મહેસાણા), તેમજ ઈસી મેમ્બર વાલજીભાઈ પરમાર અને ગજેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. ચાર સભ્યોની આ સમિતિમાં દરેક મુખ્ય સભ્ય સાથે ચાર અધ્યાપકોની એક ટીમ રહેશે. આ ટીમમાં ડીન, આચાર્ય અને અન્ય અધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચકાસણી સમિતિ ગમે ત્યારે કોઈપણ કોલેજ ખાતે પહોંચીને આકસ્મિક તપાસ હાથ ધરશે. તપાસ બાદ તેઓ પોતાનો હકીકતલક્ષી રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરશે. આ રિપોર્ટ બોર્ડ ઓફ મેનેજમેન્ટની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને તેના આધારે સંબંધિત કોલેજ સામે યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે. જોકે, યુનિવર્સિટી સંલગ્ન કોલેજની સ્ટેચ્યુટ 3(16) હેઠળની જોગવાઈ મુજબ, કોઈપણ કોલેજને અગાઉથી જાણ કરીને જ આ ચકાસણી સમિતિની ટીમ ત્યાં તપાસ માટે જશે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહન ચાલકોએ દંડની ભરપાઈ કરી નથી. લાયસન્સ રદ કરવા માટે આરટીઓ કચેરીને પત્રજેમાં અમુક વાહનચાલકો તો એવા છે કે જેઓને એક જ વાહન નંબર પર 80 જેટલા ઈ મેમો નોટિસ સ્વરૂપે મોકલવામાં આવેલા છે. જેથી આવા વાહન ચાલકો સામે રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી હોય તેમ તેઓના લાયસન્સ રદ કરવા માટેનો પત્ર આરટીઓ કચેરીને લખ્યો છે. ટ્રાફિક નિયમોનો ભંગ, લાઇસન્સ રદરાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ RTOમાં રજીસ્ટર થયેલા 300થી વધુ વાહન ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરી વાયોલેશન ઉભુ કરી રહ્યા છે. જેથી RTOએ તેઓને વાહન ચલાવવા માટેનું જે લાયસન્સ આપ્યું છે તે રદ કરી દેવું જોઈએ. વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને નિયમ મુજબ વાહન ચલાવતા આવડતું નથી જેથી તેનું લાઇસન્સ રદ જ કરી દેવું જોઈએ. આ બાબતે આરટીઓ કચેરીને પત્ર લખવામાં આવ્યો છે જેથી તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 'નોટિસ આપીને લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે'જ્યારે આ બાબતે રાજકોટ ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિએ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા બાદ ચલણની ભરપાઈ ન કરી અને ઘણા બધા ઈ ચલણ એક જ વાહન ઉપર હોય તો તેવા વાહન માલિકોને વાહન નંબરના આધારે સર્ચ કરવામાં આવશે. ત્યારબાદ તેઓને નોટિસ આપવામાં આવશે અને તે પછી લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. હાલ 20 વાહનચાલકો સામે કાર્યવાહીકેતન ખપેડે જણાવ્યું હતું કે, હાલ ટ્રાફિક શાખા દ્વારા 20 જેટલા વાહન માલિકોના નામ અને તેના વાહન નંબર સાથેની વિગતો મોકલવામાં આવેલી છે. જેમ જેમ વિગતો મળતી રહેશે તેમ તેમ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ વાસીઓને એક જ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરવો અને ઈ ચલણ પેન્ડિંગ હોય તો તાત્કાલિક તેની ભરપાઈ કરવી જોઈએ.
ગુજરાત રાજ્યમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ મતદારોને ઘરે ઘરે મતદાર યાદી સુધારણા માટેના ફોર્મ આપવામાં આવી રહ્યા છે. મતદારોને આ ફોર્મ ભરવા માટે થઈને ઘણી તકલીફ પડી રહી છે. મતદાર યાદીની કામગીરી કરનારા શિક્ષકો એવા BLO દ્વારા મતદારોને પૂરતી માહિતી આપવામાં ન આવતી હોવાની અને ફોર્મ જાતે જ આખું ભરવા માટે થઈને કેટલીક ફરિયાદ સાથે ભાજપના નેતાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. નાગરિકોને SIRના ફોર્મ ભરવાની તકલીફ પડી રહી છેઅમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્યોએ કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી કે નાગરિકોને મતદારયાદીના ફોર્મ ભરવા માટેની તકલીફ પડી રહી છે જેથી આ તમામ બાબતે ધ્યાન આપવામાં આવે અને BLO દ્વારા મદદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રાજ્યમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી ફોર્મ ભરવાથી લઈને 2002ની મતદાર યાદીમાં નામ શોધવા અને કેવી રીતે ફોર્મ ભરવું તે અંગે હજી સુધી ઘણા બધા નાગરિકોને અપૂરતી માહિતી હોવાના પગલે મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા નથી. જેના પગલે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર કરવામાં આવી છે. શહેર ભાજપના નેતાઓ દ્વારા કલેક્ટરને રજૂઆતનાગરિકોને ખાસ મતદાર યાદી સુધારણા અંતર્ગત આપવામાં આવેલા ફોર્મ ભરવાથી લઈને જમા કરાવવા સુધી પડતી તકલીફોને લઈને અમદાવાદ શહેર ભાજપના નેતાઓ દ્વારા કલેક્ટર સુજીત કુમારને મળીને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 2002ની યાદીમાં નામ શોધવા માટે એપ્લિકેશન ખોલવામાં ઘણી મુશ્કેલીઅમદાવાદ શહેર ભાજપ દ્વારા કલેકટરને આપવામાં આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, BLO દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદાતાને ભરવા માટે અપુરતું જ્ઞાન તેમજ અપુરતી માહિતીના કારણે મતદાતાને ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલી પડી રહેલ છે. તો ફોર્મ ભરવા બાબતે BLO દ્વારા જરૂરી મદદ મળી રહે જેનાથી નાગરિકોને તકલીફ ઓછી પડે. ઘણા વિસ્તારમાં મતદારોને 2002ની યાદીમાં નામ શોધવા માટે એપ્લિકેશન ખોલવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. જેથી ઝડપી ઇન્ટરનેટની પુરતી વ્યવસ્થા કરવા અથવા 2002ની યાદીમાં સરળતાથી નામ શોધી શકાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરાવવા બાબત. 'BLO મતદાતાને ફોર્મ ભરવા માટે સમજ આપે'મૂળ અન્ય રાજ્યના રહેવાસી હાલમાં મતદાતા ગુજરાતમાં રહે છે. પરંતુ 2002ની મતદાર યાદીમાં તે અથવા તેમના સંબંધી પરપ્રાંતમાં (બીજા રાજ્યમાં) રહે છે. તેવા મતદાતાને ઘણી મુશ્કેલી પડી રહેલી છે તો તાત્કાલિક ધોરણે તેમને સરળતાથી નામ 2002ની યાદીમાં શોધી શકાય તેવી વ્યવસ્થા કરાવામાં આવે જેનાથી નાગરિકો સરળતાથી ફોર્મ ભરી શકશે. અમુક BLO ફોર્મમાં ખાલી નામ એટલે કે પ્રથમ વિભાગ જ ભરવાનું કહે છે. અમુક BLO આખુ ફોર્મ ભરવાનું કહે છે. તો તે સંપૂર્ણ માહિતી સાથે BLO મતદાતાને ફોર્મ ભરવા માટે સમજ આપવા પણ રજૂઆત કરી હતી. નવા મતદારોના પણ ફોર્મ ભરાવોનવા યુવા મતદારના ફોર્મ ભરવા બાબતે BLO પાસે ફોર્મ હોતા નથી તો તે સાથે રાખવા અને ભરવા બાબતે પણ કામગીરી કરવામાં આવે જેથી નવા મતદારોનો પણ મતદાર યાદીમાં સમાવેશ થઈ શકશે. અત્યારે હાલમાં જે ફોર્મ પરત આવ્યા છે. તેનુ મેપીંગ વ્યવસ્થિત રીતે થાય અને ઝડપી થાય તો મતદાતાઓને ફરીથી ફોર્મ ભરવાની જરુર ન પડે અને હેરાનગતી ઓછી થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા સહિતની રજૂઆત કરવામાં આવી છે અને ઝડપથી આ કામગીરી થાય તેના માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદ શહેર કલેકટરને આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, મેયર પ્રતિભા જૈન, તમામ ધારાસભ્યો, શહેરના હોદ્દેદારો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિર વેરાવળમાં આવ્યું છે. ત્યારે અહીં મોડી રાતથી વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાનો સામનો કરવા માટેની એક સઘન મોકડ્રીલ યોજવામાં આવી હતી. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કટોકટીમાં ત્વરિત પ્રતિભાવની તૈયારીઓ ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી. સંયુક્ત કવાયતમાં કયા વિભાગો જોડાયા?આ મોકડ્રીલમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG), પોલીસ વિભાગ, આરોગ્ય, ફાયર સર્વિસ સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગો અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ સંયુક્ત રીતે જોડાયા હતા. આતંકવાદી હુમલાની સ્થિતિમાં સાવચેતીના પગલાં ચકાસવા માટે બ્લેકઆઉટ સહિતના તમામ સંભવિત તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કયા પાસાંઓ પર કરાયું મૂલ્યાંકન?વહેલી સવાર સુધી ચાલેલી આ કવાયતમાં કટોકટીની સ્થિતિમાં શ્રદ્ધાળુઓને કેવી રીતે બચાવવા, વિવિધ વિભાગોના સંકલનથી તાત્કાલિક પગલાં લેવા અને સુરક્ષા વ્યવસ્થાના મુખ્ય પોઈન્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ પોઈન્ટ્સમંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી દિગ્વિજય દ્વાર, હમીરજી સર્કલથી ગૌરીકુંડ અને લીલાવતી ભવન, સાગર દર્શન સહિતના પેટ્રોલિંગ પોઈન્ટ્સની સતર્કતા ચકાસવામાં આવી હતી. સમુદ્રી સુરક્ષામંદિરના પાછળના ભાગમાં વોક-વે પેટ્રોલિંગ અને સમુદ્રી સુરક્ષાના પાસાઓનું નિરીક્ષણ કરાયું. આરોગ્ય સુવિધાગંભીર સ્થિતિમાં શ્રદ્ધાળુઓને તાત્કાલિક આરોગ્ય સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્યઆ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ પર સંભવિત આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે પ્રથમ પ્રતિભાવ તરીકે સ્થાનિક તંત્રની તૈયારીઓ સુનિશ્ચિત કરવાનો આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેથી કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક કામગીરી કરી શકાય.
દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક જ દિવસમાં બે અલગ-અલગ કાર્યવાહી કરીને રૂપીયા 71.73 લાખથી વધુનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડયો છે. આ કાર્યવાહી 31મી ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી હતી. પોલીસે બે બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે. પ્રથમ કાર્યવાહી કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પરના ખંગેલા ચેકપોસ્ટ પાસે થઈ હતી. ગુપ્ત માહિતીના આધારે, LCB ટીમે રાજસ્થાન તરફ જતી એક બંધ બોડી ટ્રક (નં. HR57A4053)ને રોકી હતી. ટ્રકની તપાસ કરતાં, બારદાનની આડમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની 465 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 10,260 બોટલ હતી. આ દારૂની કિંમત રૂપીયા 42.99 લાખ આંકવામાં આવી છે, જ્યારે ટ્રકની કિંમત રૂપીયા 18 લાખ છે. પોલીસે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બે બુટલેગરો, દિલીપ રણજીત દાણક અને વિનોદ ઓમપ્રકાશ ને ઝડપી પાડયા હતા. બીજી કાર્યવાહી દાહોદ શહેરના ‘એ’ ડિવિઝન વિસ્તારમાં સારસી ગામ પાસે થઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને નંબર વગરની એક કાર શંકાસ્પદ હાલતમાં આવતી જોવા મળી હતી. પોલીસે કારને રોકવાનો ઇશારો કરતાં, ડ્રાઇવરે ભાગવાનો પ્રયાસ કર્યો અને ઝડપથી યુ-ટર્ન લીધો. આ દરમિયાન કારનું આગળનું ટાયર ફાટી ગયું અને તે તીર હોટલ પાસે ખુલ્લી જગ્યામાં અટકી ગઈ હતી. ડ્રાઇવર કાર છોડીને ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતાં, તેમાંથી 30 પેટી બીયર (કુલ 840 કેન) મળી આવ્યા, જેની કિંમત રૂપીયા 3.19 લાખ છે. આ કારની કિંમત રૂપીયા 7 લાખ આંકવામાં આવી છે. બંને કેસમાં કુલ 500 પેટી, 11,100થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલ, 840 બીયર કેન, રૂપીયા 25 લાખના વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 71.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને ગુના પ્રોહિબિશન અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને LCB ઇન્ચાર્જ એસ.એમ. ગામેતીની ટીમની સક્રિયતાને કારણે આ કાર્યવાહીઓ સફળ રહી છે. દાહોદ પોલીસે નવા વર્ષ પહેલા દારૂની હેરાફેરી અટકાવવા માટે હાઇવે પર ચુસ્ત પેટ્રોલિંગ ગોઠવી દીધું છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોરબીના કાલિકા પ્લોટમાં ગંદકી અને કચરાનું કલંક
મોરબી શહેરની મધ્યે ગીચ વિસ્તારોમાં જ આવેલા કાલિકા પ્લોટની કાયમ અવગણના થઇ છે. કાલિકા પ્લોટ વિસ્તાર અંદાજે 15 વિઘા જેટલી જમીનમાં ફેલાયેલો છે અને 1200 જેટલા મકાનો છે. જેમાં હાલ આશરે 15 હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. પણ તંત્રના પાપે આ લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, આ વિસ્તારની હાલતમાં કોઈ ફરક પડ્યો નથી. કોઈ અંતરીયાળ વિસ્તાર કરતા પણ કાલિકા પ્લોટની બદતર હાલત છે. ગ્રામ્ય વિસ્તારને પણ સારા કહેવડાવે એવા આ કાલિકા પ્લોટની ઉભરાતી ગટર, ઉકરડાના ગંજ, ખરાબ અને ઉબડ ખાબડ રસ્તા મુખ્ય સમસ્યા છે. જો કે, સારો કહી શકાય એવો એક માર્ગ બચ્યો છે. બાકી બધા જ રસ્તા એટલી હદે બિસમાર થઈ ગયા છે કે નીકળવું મુશ્કેલ બન્યું છે. ગટરના ગંદા પાણીના પગલે ઘર બહાર નીકળવું મુશ્કેલકાલિકા પ્લોટની દરેક શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે. એનું કારણ ગટરની ક્યારેય સફાઇ કરવામાં આવતી જ નથી. પહેલા નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા આવ્યા પછી પણ સફાઈ ન થવાથી વગર વરસાદે બારે માસ ગંદા પાણી નદીના વહેણની માફક વહે છે. ગટર કાઢવા કોઈ આવતા જ ન હોવાથી ભારે ગંદકીને કારણે રોગચાળાનો ખતરો રહે છે. ગટર શેરીમાં ઉભરાતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. સ્કૂલ કે આંગણવાડી જ નથી! તંત્ર પાયાની સુવિધા આપવામાં તો ઘોર બેદરકારી દાખવે જ છે. પણ આજના હાઈટેકમાં જરૂરી એવા શિક્ષણની સવલત આપવામાં તંત્ર અને ખુદ સરકાર પણ ઉદાસીનતા દાખવે છે. સરકાર શિક્ષણનો વ્યાપ વધારવા હાલ ભણે ગુજરાતના ઢોલ પીટી રહી છે. પણ હકીકતમાં અમારા વિસ્તારમાં ભણે ગુજરાત જેવું નામોનિશાન જ નથી. કમસેકમ દરેક નાનું ગામ હોય તો ત્યાં પણ એક પ્રાયમરી સ્કૂલ અને આંગણવાડી હોય છે. પણ 15 હજારથી વધુ વસ્તી ધરાવતા કાલિકા પ્લોટમાં આવી એકેય સરકારી સ્કૂલ કે આંગણવાડી જ નથી. આમાં ક્યાંથી ભણે ગુજરાત ? > રહીમભાઈ ચાનીયા, સ્થાનિક રહીશ. કચરા ઉપાડવાને બદલે માત્ર ફોટા લઈને ચાલતી પકડેકાલિકા પ્લોટમાં સફાઈનો પ્રશ્ન વર્ષોથી ગંભીર છે. તંત્રના સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા આવતા જ નથી. આથી ઠેરઠેર ઉકરડાના ગંજ ખડકાયા છે. જો કે કચરો ઉપાડવા માટે એક ટ્રેકટર ચાલક રોજ આવે છે. પણ તે માત્ર સાત આઠ જગ્યાએથી કચરો ઉપાડીને મોબાઈલમાં પાડી કોઈકને કદાચ મોકલી ચાલતી પકડે છે. > જુબીબેન માજોઠી, સ્થાનિક મહિલા.
વીજકાપ:મોરબી શહેરના બે મુખ્ય ફીડર હેઠળના વિસ્તારોમાં આજે બે કલાકનો વીજકાપ
પીજીવીસીએલના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા બે મુખ્ય ફીડરમાં આજે તા.3ના રોજ સમારકામ અને નવા લાઇનકામની કામગીરીને કારણે 11 કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. અસરગ્રસ્ત વિસ્તાર હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ, નવયુગ સ્કુલ, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન 1 થી 3 વગેરેમાં વીજકાપ રહેશે. આ ઉપરાંત 11 કેવી મધુરમ ફીડર 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી બંધ રહેશે. તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર, સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજયનગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરી, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ અને તિરૂપતિ સોસા., વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ, રવાપર રોડ અને આલાપ રોડ વિસ્તારમાં પુરવઠો ઠપ રહેશે.
સુરેન્દ્રનગર બસસટેન્ડ 2023માં ખુલ્લું મુકાયેલું બસ સ્ટેશન સુરક્ષાના અભાવે ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. જેમાં તાજેતરમાં મુસાફરોના સામાન ચોરી થતા લોકોમા રોષ ફેલાયો છે. ત્યારે આપના આગેવાનો બસ સ્ટેન્ડ પહોચી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા. તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્ગા સુરેન્દ્રનગરના AAP લોકસભા ઈન્ચાર્જ અમૃત મકવાણ કમલેશભાઇ કોટેચા સહિત આગેવાનો બસસ્ટેન્ડ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે અધિક કલેક્ટર દ્વારા દુકાનો, રેસ્ટોરન્ટ અને ભીડભાડવાળી જગ્યાએ નાઈટ વિઝનવાળા CCTV ફરજિયાત કરવા છતાં બસ સ્ટેશનમાં કેમેરા લગાવવામાં આવ્યા નથી. આથી માંગ કરી છે કે આ જાહેરનામાનો ભંગ કરવા બદલ જવાબદારો સામે કાર્યવાહી કરી દંડ કરાય, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવે.
17 હજાર ખેડૂતનું રજિસ્ટ્રેશન:2 દિવસમાં 1850 મણ જેટલા કપાસની ખરીદી કરાઈ
વઢવાણ તાલુકાના ખેડૂતો માટે સીસીઆઇ દ્વારા કપાસની ખરીદીને શરૂઆત વડોદ જીનથી કરવામાં આવી છે. તાલુકામાં કુલ 17 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. સગવડતા સચવાય તે માટે વારા પ્રમાણે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. 2 દિવસમાં કુલ 1850 મણ જેટલા કપાસની ખરીદી કરવામાં આવી છે. આગામી સમયમાં દેદાદરા જીન ખાતે પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજ રોજ તારીખ 1/12/25ના રોજ બજાર સમિતિ વઢવાણના વિસ્તારમાં આવેલ મહાદેવ જીનીંગ પ્રેસિંગ વડોદ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે. તેનો પ્રતિ મણના ભાવ રૂ. 1612થી ખરીદી કરવામાં આવે છે. જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેઓને બજાર સમિતિ તેમજ સીસીઆઇના અધિકારીઓ દ્વારા એપ્રુવલ આપ્યા બાદ ખેડૂતના મોબાઈલ પર સ્લોટ બુક પર મેસેજ આવ્યા બાદ ખેડૂત દ્વારા પોતાનો માલ કપાસ ક્યારે અને કેટલો જથ્થામાં લાવવાનું થાય છે તેની વિગત સંપૂર્ણ ભરીને વઢવાણ સેન્ટર પર કપાસ વેચાણ અર્થે લઈ જવાનો રહેશે. કપાસની ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ તે પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન નારણભાઈ પાવરા તથા સેક્રેટરી બગડેલા કપાસની ખરીદી કરાતી નથી વર્તમાન સમયે સારી ક્વોલિટિના કપાસની જ ખરીદી કરાઈ રહી છે. માવઠાને કારણે બગડેલા કપાસની ખરીદી કરવામાં આવતી નથી. આથી ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે બીજા લોટમાં બગડેલા કપાસની ખરીદી થાય તેવી શકયતાઓ સેવાઇ રહી છે. રાજુભાઈ ત્રિવેદી તેમજ સીસીઆઇના ઇન્ચાર્જ પ્રકાશભાઈ પટેલ તેમજ જીન સંચાલન માલિક અનિરુદ્ધભાઈ જાદવ તેમજ બજાર વિસ્તારમાંથી આવેલ ખેડૂત મિત્રો ની ઉપસ્થિતમાં કામકાજ ચાલુ કરવામાં આવેલ છે.
મુંબઇમાં બેવડી ઋતુનો અનુભવ - સવારે ઠંડી, બપોરે ગરમી તથા બફારો
ટાઢાબોળ માહોલ વચ્ચે મુંબઇ આખા મહારાષ્ટ્રમાં સૌથી હોટ મહારાષ્ટ્રનાં છ શહેરમાં કોલ્ડ વેવની ચેતવણી 17 શહેરમાં ઠંડીનો પારો 9 થી 14 ડિગ્રી મુંબઇ - આજે મુંબઇના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. મુંબઇગરાંને બે ઋતુનો વિચિત્ર અનુભવ થયો હતો. સવારે ઠંડા પવનો સાથે ટાઢો માહોલ જ્યારે બપોરે ગરમી અને બફારો અનુભવાયો હતો. હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ ૩૨.
ઓક્સિજન પાર્કનું કરાશે નિર્માણ:42 હેક્ટરમાં 1 લાખ વૃક્ષનું વાવેતર :
સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 વૃક્ષ જ છે. જે ખૂબ ચિંતાની બાબત છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગર પાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન ક્ષાત્રાલય પાસેની 42 હેક્ટર જમીન જે ઘણા સમયથી પડી હતી એટલે જગ્યાના ડેવલપિંગ માટે પસંદગી કરી આ જગ્યામાં 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતીથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વર્તમાન સમયે વૃક્ષોનું વાવેતર કરાયું છે. છતા હજુ પણ શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધારે હોવાને કારણે શુધ્ધ હવા મળતી નથી. આ માટે મનપાએ મુળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન ક્ષાત્રાલય પાસે 1 લાખ વૃક્ષો અને તે પણ મીયાવાકી જાપાનીજ પધ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે. હાલના સમયે મનપાની જમીનમાં બાગળ કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અંદાજે 2 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. વૃક્ષોનો ઉછેર થઇ ગયા બાદ અહીંયા ઓક્સિજન પાર્ક પણ બનાવાશે. મારા કામની વાતમિયાવાકીથી 10 વર્ષમાં જ જંગલ તૈયાર થઈ જાયમિયાવાકી પદ્ધતિએ વૃક્ષારોપણ માટે જાપાનીઝ પદ્ધતિ જેના સર્જક એવાં જાપાનના પ્રસિધ્ધ વનસ્પતી શાસ્ત્રી અકિરા મિયાવાકીએ 100 વર્ષે બનતું જંગલને 10 વર્ષમાં તૈયાર કર્યું હતું. આ પદ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસી તેમાં માટીના કણ નાના હોય તો તે સખત બની ગયેલી હોય છે જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી ઉમેરાય છે. જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. ત્યારબાદ સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને તેમની ઉંચાઈ અનુસાર 4 સ્તરમાં વહેંચવામાં આવે છે. ભાસ્કર એક્સપર્ટ1 પરિપકવ વૃક્ષ 1 દિવસમાં 180થી 200 લીટર ઓકિસજન આપે છે પક્ષીવિદ્, પર્યાવરણ પ્રેમી દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે, જિલ્લામાં લીંબડો, પોપળો, વડ, કણઝી સહિતના વૃક્ષોનું વધુ વાવેતર થાય છે અને આ વૃક્ષોને આપણી જમીન અનુકુળ છે. લીંબડો દિવસમાં 180 લીટર જેટલો ઓક્સિજન, પીપળો 200થી વધુ લીટર જ્યારે આંબા 140થી 150 લીટર ઓક્સિજન આપે છે. એક વૃક્ષને પરીપકવ થતા 3 વર્ષથી 5 વર્ષ સુધીનો સમય લાગે છે.
નિવૃત્ત શિક્ષિકા અને 9 વિદ્યાર્થિનીઓની વિઝિટિંગ પ્રોફેસર દ્વારા જાતીય સતામણી
વિદ્યાર્થીઓએ ઈવેન્ટનો બહિષ્કાર કરવાની ચિમકી આપી સેંટ ઝેવિયર્સના આચાર્ય દ્વારા ફરિયાદ અપાયા બાદ પોલીસ વિઝિટિંગ પ્રોફેસરની કસ્ટડી માટે વર્ધા પહોંચી મુંબઇ - દક્ષિણ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ૨૪ નવેમ્બરના રોજ એક નિવૃત્ત શિક્ષિકા અને નવ વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વ્યવહાર અને કથિત છેડતી કરવાના આરોપસર ગેસ્ટ પ્રોફેસર વિરૃદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસની એક ટીમ તેમને કસ્ટડીમાં લેવા વર્ધા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સેંટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓએ સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ (આઇસીસી)માં ફરિયાદ નોંધાવી હતી.
પ્રેરણાદાયી કિસ્સો:હાથે મીંઢોળ, મહેંદી મૂકી દીકરીએ પરીક્ષા આપી
મારા લગ્નની તારીખ નક્કી થઇ ગઇ છે. રીતિ રીવાજ મુજબ મને હાથે મીંઢોળ પણ બાંધીને મહેદી પણ મુકવામાં આવી છે. ઘરમાં અને મને પણ લગ્નનો અનેરો આનંદ છે. ઘરના સભ્યો લગ્ની તૈયારમાં લાગી ગયા છે . મેં પણ લગ્નની ખરીદી કરી લીધી છે. પરંતુ પાનેતર અને કરીવારની સાથે મેં પુસ્તકોની પણ ખરીદી સાથે જ કરી છે. આ શબ્દો છે સાયલા તાલુકાના લોયા ગામની વિધાર્થિની અવનીબેન વિરમભાઇ સરૈયા (ભરવાડ)હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મને ભણવાનો પહેલેથી જ શોખ છે. માતા પિતાને પણ ભણાવવાની ખૂબ ઇચ્છા છે અને આથી જ હું કોલેજના બીજા વર્ષ સુધી અભ્યાસમાં પહોંચી છું. તા.5 ડિસેમ્બરના રોજ મારા લગ્ન છે. તેના માટે પરિવારમાં જે વિધિ થતી હોય તે મીઢોળ બાંધવું, મહેંદી મૂકવી તમામ થઇ ગયું છે. પરંતુ તા.25 નવેમ્બરે મારી સાયલાની એલ.એમ.વોરા કોલેજમાં પરીક્ષા ચાલુ થતી હતી. સામાન્ય રીતે મીંઢળ બાંધ્યા બાદ દીકરીને બહાર જવા નથી દેતા પરંતુ મારા માતા પિતાની પણ ઇચ્છા હતી કે પરીક્ષા આપું. મારું ગામ સાયલાથી 35 કિમી દૂર થાય છે. છતાં મારા પિતા વિરમભાઇ મને પરીક્ષા અપાવવા માટે આટલા દૂર ખાસ લઇને આવતા હતા. તા.2 ડિસેમ્બરે છેલ્લું પેપર સંસ્કૃતનું હતું તે પણ મેં આપી દીધું છે. મીઢોળ અને મહેદી સાથે મને પરીક્ષા આપતા જોઇ અન્ય વિધાર્થીઓનો પણ અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધતો હતો. આ બાબતે શાળાના આચાર્ય ચંદ્રકાતભાઇ વ્યાસે જણાવ્યું કે એક સમય એવો હતો કે સાયલામાં શિક્ષણનું પ્રમાણ ખુબ ઓછું હતું. તેમાં પણ દીકરીઓ તો અભ્યાસ છોડી જ દેતી હતી. ત્યારે દીકરીઓના અભ્યાસની ચિંતા કરીને સ્વ. લાડકચંદ માણેકચંદ વોરાએ શૈક્ષણિક સંકુલની સ્થાપના કરી. રાજસોભાગના નલીનભાઇ કોઠારીએ દીકરીઓ અભ્યાસ માટે દત્તક લેતા લોકોમાં પણ જાગૃતતા આવી અને જે એક સમયે કન્યા કેળવણીનો આંક 5 ટકાએ હતો તે આજે 45 ટકાને આંબી ગયો છે. ત્યારે અવની સરૈયાની અભ્યાસની ધગશ એ અનેક દીકરીઓને પ્રેરણા આપે છે. અહીંયા બીજી મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે લગ્ન બાદ અભ્યાસ છોડી દેવામાં આવતો હોય છે.પરંતુ આ અવની સરૈયા લગ્ન બાદ અભ્યાસ ચાલુ રાખીને માસ્ટર ડિગ્રી મેળવવાની ઇચ્છા વ્યકત કરી હતી.
પાણી કાપ:દૈનિક 5 લાખ લીટર પાણીની જરૂરિયાત ધરાવતાં ચોટીલામાં 4 દિવસ પાણી કાપ
ચોટીલામાં ગુજરાત પાણી પુરવઠા દ્વારા ધોળી ધજા ખાતેથી 4 દિવસ પાણી પુરવઠો બંધ કરાશે. ચોટીલા નગરપાલિકા દ્વારા 4 દિવસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ધોળીધજા ડેમ ખાતે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોટીલાની 30000ની વસતીને દૈનિક 5 લાખ લીટર પાણીની જરૂર પડે છે. જો 30ના બદલે 20 મિનિટ પાણી આપવામાં આવે તો પાણીની બચત થાય અને પાણી બચે તે પાણી બંધ થાય તે દરમિયાન લોકોને જરૂરીયાત પ્રમાણે પાણી મળી રહે. ચોટીલામાં ધોળી ધજા ડેમથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. તે ચાર દિવસ મેન્ટેનન્સ માટે પાણી વિતરણ બંધ કરવામાં આવતા તે માટે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર ઇન્ટી. ફેઇજ 2 જૂથ પાણી પુરવઠા યોજના માં ચોટીલા શહેર ને પીવાના પાણી નો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે ધોળી ધજા ડેમ ખાતે રો વોટર ભૂગર્ભ સંપ, પંપીંગ મશીનરી અને વીજ જોડાણ સંબંધિત આનુસંગિક મેન્ટેનન્સ માટે બીજી ડિસેમ્બરથી 5 ડિસેમ્બર 4 દિવસ પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે તેથી ચોટીલા નગરપાલિકા દ્વારા નગરજનો માટે વૈકલ્પિક પાણીની વ્યવસ્થા ગોઠવાઈ હતી.
અભયમ ટીમની સુંદર કામગીરી:આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને 181 અભયમે નવજીવન બક્ષ્યું
સુરેન્દ્રનગર રેલવે જંકશન પાસે એક મહિલા આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કરી રહી હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક 181 અભયમને જાણ કરી હતી.આથી કાઉન્સેલર વૈશાલીબેન મકવાણા સાથે તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમે હતાશ મહિલાનો સંપર્ક સાધીને સ્થળ પર જ તેનું પ્રાથમિક કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, પીડિતા મધ્યપ્રદેશની વતની છે અને બે દીકરીઓની માતા છે. તેણી લાંબા સમયથી પોતાના પતિના માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે ગહન હતાશામાં હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, પતિ દ્વારા ઘર ખર્ચ માટે પૈસા આપવામાં આવતા ન હોવાથી તે પોતે જુદી જુદી હોટેલોમાં વાસણ સાફ કરીને ઘર ચલાવતા હતા. પતિ તરફથી મળતા પ્રેમ અને સહાનુભૂતિના અભાવે તેમજ આર્થિક સંકડામણે તેણીને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કરી હતી. અભયમની ટીમે પીડિતાના પતિને બોલાવીને અસરકારક કાઉન્સિલિંગ હાથ ધર્યું હતું. પતિએ સ્વીકાર્યું હતું કે પત્ની સાથે શાંતિથી રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કાઉન્સિલિંગના અંતે પીડિતાના પતિએ પણ પોતાની ભૂલ સ્વીકારીને હવે ક્યારેય આત્મહત્યાનો પ્રયાસ નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.
નુકસાનની સરભરા:20 દિ''માં રવિપાકનું 77,765 હેક્ટરમાં વાવેતર
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાનુ નુકશાન રવિપાકમાં સરભર કરવા ખેડૂતોની કવાયત ભાસ્કર ન્યૂઝ |સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિના દરમિયાન વરસાદ પડતા ચોમાસુ પાકને અસર થઇ હતી. હાલ વાવાઝોડાની અસર ઓછી થવા સાથે એક સપ્તાહથી વરસાદ થયો નથી અને કાશ્મીરમાં હિમવર્ષાને લઇ ઠંડીનો દૌર શરૂ થયો છે. આથી શિયાળુ પાકના વાવેતરની શરૂઆત થઇ છે. જેમાં જિલ્લામાં 15 દિવસમાં અત્યાર સુધીમાં 77,765 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિપાકના વાવેતરની સીઝન શરૂ થઇ ગઇ છે. જિલ્લામાં શિયાળુ સિઝનની શરૂઆત 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન થઇ જતી હોય છે આ વખતે પાછોતરા વરસાદના માવઠાનુ વિધ્ન નડ્યુ હતુ ત્યારે માવઠાએ ખેડૂતોને આર્થિક અસર પહોંચાડી છે. ત્યારે રવિપાક સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. ખેડૂતોએ આફત વચ્ચે ઉભા થવાનુ ફરી નક્કી કહ્યુ હોય અને માવઠાનુ નુકશાન રવિપાકમાં સરભર કરવા કવાયત હાથ ધરી હોય તેમ લાગે છે. જિલ્લામાં આ વર્ષ રવિ વાવેતરની ધીમી શરૂઆત થવા સાથે 4866 હેક્ટરમાં જ વાવેતર થયુ હતુ.જેમાં 20 દિવસમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામા 30 તારીખ સુધીમાં 82631 હેક્ટરમાં રવિસીઝન વાવેતર થઇ ગયુ છે. 20 દિવસમાં 77,765 હેક્ટરમાં વધારો નોંધાયો છે . જેમાં ઠંડક વધશે તેમ હજુ પણ ઝાલાવાડમાં વાવેતર વધે તેમ છે. આંતર ખેડ નિંદામણ, સમયસર પિયત પાક સારો રહેશેશિયાળુ પાક વાવેતરને માટે ઠંડી અને શુષ્ક વાતાવરણ જરૂરી છે.જેટલી ઠંડી વધુ પડે તેટલો શિયાળુ પાકના વાવેતરને ફાયદો થાય પણ હાલ ગરમીનો પારો 32 ડિગ્રી પહોંચતા ખાસ કરી ઘઉં, જીરૂ શાકભાજીના પાકને અસર થાય તેનો ઉતારો ઓછો આવે છે.ત્યારે પાકને સારો વાવેતર કરવા માટે ખેડૂતોએ આંતર ખેડ કરી રાખવી જોઇએ અને નિદામણ દુર કરી પાક ને ઉગવા માટે જરૂરી પિયત સમયસર આપતા રહેવુ જેથી પાક સારો ઉગી શકે. > જનકભાઇ કલોત્રા નિવૃત ખેતીવાડી અધિકારી (ખેતીવાડી એકસપર્ટ) પાક વાઇઝ વાવેતર 20 દિવસમાં ફેરફાર વાવેતરની આંકડાકીય વિગત(હેક્ટરમાં)
ભાસ્કર એક્સક્લુસિવ:105 વર્ષ જૂની લાડકીબાઇ સ્કૂલમાં ઝાલાવાડનું મ્યુઝિયમ બનશે
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ એ ઐતિહાસીક નગરી છે. અહીયા અનેક ઔતિહાસિક સ્મારકો આવેલા છે ત્યારે 105 વર્ષ જઊની લાડકીબાઇ સ્કૂલમાં મનપા દ્વારા મ્યુઝિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે મનપા રૂ.5 કરોડની રકમનો પણ ખર્ચ કરશે. મ્યુઝિયમમાં ઝાલાવાડના ગૌરવવંતા ઇતિહાસની વાતોને પણ લોકો જાણી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણની ઐતિહાસિક નગરીની શેરી શેરીએ કયાક ત્યાગ,બલીદાન, વિકાસ અને ધર્મની ભાવના ઉજાગર કરવાનો ઉજળો ઇતિહાસ તો ધોળીપોળ,ખાડી પોળના ભવ્ય દરવાજા આજે પણ અડીખમ ઉભા છે. વઢવાણના બાંધણી ઉદ્યોગ અને ઐતિહાસિક સ્થળોનું મહત્વ વધશે લાડકીબાઇ સ્કૂલની આજુ બાજુમાં જ વઢવાણનો જાણીતો બાંધણી ઉધોગની દુકાનો આવેલી છે. હાલ આ ઉદ્યોગ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે જો મ્યુઝિયમ બનશે તો બાંધણી ઉધોગને તો પ્રોત્સાહન મળશે પરંતુ સાથે સાથે આજુ બાજુમાં આવેલ માધાવાવ, હવા મહેલ, રાણેકદેવી મંદિર સહિતના સ્થળોનું પણ મહત્વ વધશે. > નવનાથ ગવહાણે, મનપા કમિશનર સાસુએ વહુના નામે શાળા બંધાવી હતી વર્ધમાન પુરી નગરીમાં તા 15ડિસેમ્બર 1920માં લાડકીબાઈ કન્યા શાળા બની હતી. વઢવાણ ના ઠાકોર સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે વહુ સાસુ ની યાદ માં કંઈક બનાવી ને અર્પણ કરે છે પરંતુ જૈન પરિવાર ના સાસુ એ વહુ લાડકી બાઈ ની યાદ માં શાળા બનાવી ને અર્પણ કરી હતી વઢવાણ ખાંડીપોળ માં 105વર્ષ જૂની શાળા આજે પણ અડીખમ ઊભી છે આ ભવ્ય ઇમારત બે માળ ની છે જેમાં 15થી વધુ રૂમો આવેલા છે જયારે વિશાલ મેદાન માં રમત ગમત ની સુવિધા છે આ ઉપરાંત સાસ્કૃતિક કાર્યક્રમો માટે હોલ પણ છે આ ઈતિહાસીકલાડકી બાઈ કન્યા શાળા માં લાખો વિધાર્થી ભણ્યા છે
SIRની કામગીરી:તાપી જિલ્લાના 90 ટકા મતદાર ફોર્મ્સ ડિજિટાઇઝ, નિઝર શ્રેષ્ઠ કામગીરીમાં અગ્રેસર
મતદાર યાદીની સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) અંતર્ગત તાપી જિલ્લામાં ડિજિટાઇઝેશન પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. 02 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે જાહેર થયેલા તાજા અહેવાલ મુજબ, જિલ્લાએ કુલ 5.15 લાખ મતદાર ફોર્મ્સમાંથી 85.59 ટકા કામગીરી પૂર્ણ કરીને રાજ્યના શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જિલ્લાઓમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અનકલેક્ટેબલ (Uncollectable) કેસો સહિત જિલ્લાનું કુલ ડિજિટાઇઝેશન 90.06 ટકા જેટલું નોંધાયું છે. જિલ્લાના 5,15,396 મતદારોમાંથી 4,41,128 ઇલેક્ટર ફોર્મ્સ (EF) સફળતાપૂર્વક ડિજિટાઇઝ થયા છે. જિલ્લામાં ડેટા મેપિંગ, પ્રોજેની–સેલ્ફ મેપિંગ અને UEF ચકાસણીની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અને આગામી દિવસોમાં બાકી રહેલા ફોર્મ્સનું કામ પૂરું થવાની સંભાવના છે. જિલ્લામાં વ્યારાની ઓછી કામગીરીબીજી તરફ, તાપી જિલ્લામાં વ્યારા તાલુકાની કામગીરી જિલ્લા સરેરાશથી પાછળ રહી છે. 85.22% EF ડિજિટાઇઝેશન સાથે અનકલેક્ટેબલ સહિત વ્યારાનો આંકડો 88.51% જ રહ્યો છે, જે સમગ્ર જિલ્લામાં સૌથી ઓછો છે. ડોલવણ તાલુકો 87.10% સાથે મધ્યમ સ્થિતિમાં રહ્યો છે.આગામી દિવસોમાં બાકીરહેલા ફોર્મ્સનું કામ પૂરું થવાની સંભાવના છે. નિઝર તાલુકો 94.71% સાથે પ્રથમનિઝર તાલુકો 85.33% EF ડિજિટાઇઝેશન અને અનકલેક્ટેબલ કેસો સાથે કુલ 94.71% નો સર્વોચ્ચ આંકડો નોંધાવ્યો છે. કુકરમુંડા (93.33 %) અને સોનગઢ (91.07%) તાલુકાઓએ પણ 90 %થી વધુ કામગીરી સાથે પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આ ત્રણેય તાલુકાઓ મતદાર યાદીની શુદ્ધતા અને મેપિંગમાં સતત આગેવાની જાળવી રહ્યા છે. 11 હજારથી વધુ મતદારો મૃત જાહેરSIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીની ચકાસણી થતાં મૃત્યુ, સ્થળાંતર અને અન્ય કારણોસર મોટી સંખ્યામાં યુનિફોર્મ ઇલેક્ટર ફોર્મ્સ (UEF) કેસ નોંધાયા છે.જિલ્લામાં હાલ 11006 UEF ડેથ (મૃત્યુ) કેસ નોંધાયા છે, જે 11000 જેટલાં જીવંત ચાલતા મતદારો મૃત્યુ પામ્યા હોવાનું સૂચવે છે. કામગીરી ચાલુ હોવાથી આ મૃત્યુઆંકમાં હજુ વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, 9.529 કાયમી સ્થળાંતર (Permanent Shifting) અને 1.523 ગેરહાજર (Absent) સહિત જિલ્લાનો કુલ UEF આંક 23063 નોંધાયો છે.
સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઊજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતે પહોંચી ચૂકી છે. આજે પદયાત્રા શિનોરની આગળ નીકળશે. શિનોર APMC ખાતેથી આજે પદયાત્રા શરૂ થશે. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સવારે 9 વાગ્યાથી પદયાત્રામાં ભાગ લેશે અને બપોરે 2 વાગ્યા સુધી પદયાત્રા સાથે રહેશે. આ ઉપરાંત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સવારે 9 વાગ્યાની આસપાસ દામાપુરા ખાતે પદયાત્રામાં જોડાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બપોરે મોટા ફોફડિયા સ્કૂલ ખાતે સરદાર સભાને સંબોધિત કરશે.
ચીખલી તાલુકાના આલીપોર ગ્રામ પંચાયતના ઉપસરપંચને 2005 પછી ત્રીજું સંતાન હોય ગેરલાયક ઠરાવવા માટે સ્થાનિક નાગરિક દ્વારા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આલીપોર વાડી ફળિયાના નિલેશભાઇ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આલીપોર ગ્રામ પંચાયતની 2021-ડિસેમ્બરમાં યોજાયેલા સભ્ય જાકિર કાદરભાઇ તાઇની પહેલી પત્નીના 2005 પહેલા ચાર બાળકો હતા અને ત્યારબાદ બીજા લગ્ન કરતા બીજી પત્ની દ્વારા 6/02/2024ના રોજ બાળકનો જન્મ થયો છે. જેનું નામ ઝૈદ જાકિર તાઇ છે. જેની સાથે જાકિર કાદરભાઇ તાઇના ટોટલ પાંચ બાળકો છે તો ભારતીય પંચાયતની ધારા મુજબ 2005 પછી ત્રણ બાળક થાય તો પંચાયતના સભ્ય પદ ગેરલાયક ઠરે છે તો નિયમ અનુસાર જાકિર કાદરભાઇ તાઇને ગેરલાયક ઠરાવવાની માંગ કરાઈ છે. વધુમાં હાલ ઉપસરપંચ તરીકે જાકિર કાદરભાઇ તાઇ ગેરકાયદે રીતે હોદ્દો ભોગવતો આવ્યા છે. આ લેખિત રજુઆત સાથે વલસાડ નોબલ મેડિકલ હોસ્પિટલમાં જન્મ થયેલ છે.જેની વલસાડ પાલિકામાં નોંધણી ક્રમાંક 584થી નોંધાયેલ છે.જે જન્મનો દાખલો પણ રજૂ કરી 2005 પછી એમનું આ બાળક હોય તાત્કાલિક તપાસ કરી તેમને ગેરલાયક ઠરાવવા માટે માંગ કરવામાં આવી છે. તાલુકા પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી કરવાની થાય તે કરાશે આલીપોર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સામેની રજૂઆત આવી છે. જેમાં તાલુકા પંચાયત કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની થાય છે તે કરવામાં આવશે.> તેજલબેન, મદદનીશ ટીડીઓ, ચીખલી તા.પં.
ગ્રામ્ય કનેક્ટિવિટી સરળ બનશે:ઘોડમાળ ડુંગરપાડામાં 1.25 કરોડના ખર્ચે 1.95 કિ.મી.ના રસ્તાનું કામ શરૂ
વાંસદા તાલુકાના ઘોડમાળ ડુંગરપાડા ફળિયાનો રૂ. 125 લાખના ખર્ચે 1.95 કિલોમીટર રસ્તાની કામગીરી શરૂ કરતા આ વિસ્તારના લોકો માટે અવર જવર સાથે ખેતીકામે આવવા જવા માટે સરળતા રહેશે. વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા એમ.એમ.જી.એસ.વાય 10 વર્ષ રીસરફેસિગ(PMGSY)હેઠળ મંજુર થયેલ ઘોડમાળ ડુંગરપાડા ફળિયા રોડ રૂ. 125 લાખની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની લંબાઈ 1.95 કિલોમીટરની રહેશે. જે ડામર કામની કામગીરી 5 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રોડના નિર્માણમાં આઇઆરસીના ધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાવાળા બીટ્યુમિનસ મેકાડમ (BM) અને સેમી ડેન્સ બીટ્યુમિનસ કોંક્રિટ (SDBC)ના સ્તરનો ઉપયોગ કરવામાં આવશે. આ રસ્તો વાંસદા તાલુકાના ડુંગરાળ તેમજ અંતરિયાળ વિસ્તારને જોડતો રસ્તો છે. આમ ડુંગરાળ વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાની કનેક્ટિવિટી માટે અગત્યનો રસ્તો છે. આ રોડની સપાટી ખરાબ હાલતમાં હોવાથી અને નાગરિકોની સુવિધા માટે તેને નવો બનાવાની જરૂર હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ રોડની ગુણવત્તામાં સુધારો થશે અને ટ્રાફિક અવરજવર સરળ બનશે.
‘એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન’ ડ્રાઈવ:એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ડ્રાઈવ શ્રેણી અમલમાં મૂકાઇ
1થી 30 નવેમ્બર 2025 દરમિયાન ‘એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન’ ડ્રાઈવ શ્રેણીબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવી હતી. ડ્રાઈવ અંતર્ગત નાગરિકો તથા વેપારીઓમાં જાહેર નોટીસ, સ્થળ પર અવેરનેસ અને નિયમિત ચેકિંગના માધ્યમથી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વિવિધ વિસ્તારના માર્કેટ પ્લેસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ટેકઅવે પોઈન્ટ, ફૂડસ્ટોલ વગેરે સ્થળે સપાટીઓ કરવામાં આવી હતી. આંકડાઓની વાત કરીએ તો SWM ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા 186 જેટલા વેપારીઓ અને ઈસમો વિરુદ્ધ કાર્યવાહીની નોટીસ ફટકારી, કુલ 438 કિ.ગ્રા જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું તેમજ કુલ રૂ. 2,38 800જેટલો દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંજો ઝડપાયો:વ્યારા નગરમાં 348 ગ્રામ ગાંજા સાથે એક મહિલાની અટક
વ્યારામાં ગાંજાનો વેચાણ એક મહિલા કરી રહી હોવાની બાતમીના આધારે એસઓજી દ્વારા મગદુમ નગરમાં રેડ કરી હતી અને 17,400ના ગાંજા સાથે એક મહિલા આરોપીની અટક કરી જ્યારે સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. તાપી જિલ્લામાં નશાના વેપાર પર કડક નાબૂદી લાવવા તંત્ર સક્રિય બન્યું છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના દિશાનિર્દેશ અનુસાર એસ.ઓ.જી. તાપી ટીમે વ્યારામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. લીંબાચીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એન.પી. ગરાસીયા તથા એ.એસ.આઇ અજયભાઈ દાદાભાઈ સહિતની ટીમે ચોક્કસ બાતમી આધારે રેડ કરી હતી. વ્યારા મગદુમનગર (મહાદેવનગર) વિસ્તારમાં ચંદાબેન સુકલાલ જાધવ (ઉ.વ. 64) ગેરકાયદે ગાંજાનો ભંડાર ઘરે રાખતી હોવાની બાતમી પર એસ.ઓ.જી.એ તપાસ શરૂ કરી હતી. બાતમી સ્થળ પર પહોંચીને ટીમે તપાસ હાથ ધરી જેમાં 348 ગ્રામ ગાંજો, રૂ. 17,400 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 23,000નો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે ચંદાબેનને સ્થળ પરથી જ ઝડપી પાડી વ્યારા પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. ગાંજો સપ્લાય કરનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
રોકાણકારોને કરોડોનો ચૂનો લગાવ્યો:વલસાડ જિલ્લામાં ક્રેડિટ સોસાયટીની ઓફિસને તાળા મારતા રોકાણકારો ફસાયા
વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ શ્રી સારનેશ્વર ક્રેડિટ સોસાયટી નામે ઓફિસો ખોલીને લોભામણી સ્કીમો દ્વારા રોકાણકારોના કરોડોનો ચૂનો લગાવી તેના કર્તાહર્તાઓ રફુચક્કર થઇ ગયા હોવાના આક્ષેપો ખુદ સોસાયટીના જ એજન્ટોએ કર્યો છે. કરોડો ફસી જતા મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો છે. એજન્ટોએ કલેકટર સમક્ષ લેખિત રજૂઆતો કરી CBI અને ED તપાસની માગ કરી છે. વલસાડમાં ઉદવાડામાં બિઝનેસ પોઇન્ટ ખાતે,વાપીમાં પેટ્રોલપંપ ચાર રસ્તાપાસે અમીધારા કોમ્પલેક્સ, ડુંગરામાં આસ્થા હાઇટ બિલ્ડિંગ અને ભીલાડ ખાતે શ્રીસારનેશ્વર ક્રેડિટ સોસાયટીની ઓફિસો ખોલી ફિક્સ ડિપોઝિટ, સુકન્યા સ્કીમ જેવી લોભામણી સ્કીમોમાં સારું વળતર આપવાની વાતો કરી હતી. બાદમાં તાળા મારી છુ થઇ જતાં રોકાણકારો એજન્ટોનું ગળું પકડી રહ્યાં છે. રોકાણકારો ઉભા કરવા સોસાયટીના હોદ્દેદારોએ જે તે વિસ્તારોમાં એજન્ટોની નિયુક્તિ કરી હતી. એજન્ટોએ તેમના વિસ્તારોમાંથી રોકાણકારો ઉભા કરી કરોડોનું રોકાણ કર્યું હોવાનું જણાવી એજન્ટોએ કલેકટર કચેરીઓ પહોંચ્યા હતા. એજન્ટ મહેમુદ અ્ન્સારીએ જણાવ્યા મુજબ આ સોસાયટી ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ 2012માં રજિસ્ટર્ડ કરાઇ હતી, જેનો રજિસ્ટ્રેશન નં. 573 છે. ગત 27 ડિસેમ્બર 2024ના રોજ આ ક્રેડિટ સોસાયટી કંપની અચાનક બંધ કરી દેવાઇ હતી. સારું થશે તેવી લાંબી રાહ જોયા બાદ સોસાયટીના કર્તાહર્તાઓ નહિ આવતાં રોકાણકારોના નાણાં ડૂબી ગયા હોવાના કારણે કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે. એજન્ટોના આક્ષેપ મુજબ કંપનીના સીએમડી હાલ દુબઇ છે અને વલસાડ જિલ્લામાં ઓફિસોને તાળા મારી દેવામાં આવ્યા છે. તેમના અંદાજ મુજબ 5 હજાર નાના મોટા રોકાણકારોના નાણાં સલવાયા છે.
દારૂની હેરાફેરી ઝડપાઈ:નવસારીમાં હાઇવે પરથી શાકભાજીની આડમાં લઇ જવાતો રૂપિયા 4.62 લાખનો દારૂ પકડાયો
નવસારી એલસીબીએ સેલવાસથી પાલિતાણા તરફ જતા વાહનમાંથી રૂ.4.62 લાખ ન વિદેશી દારૂ સાથે એકની અટક કરી હતી. એલસીબી સિનિ.પીઆઈ વી.જે જાડેજાને બાતમી મળી હતી કે પીકઅપ વાન (નં. GJ-13-AT-1866)માં સેલવાસથી વિદેશી દારૂ ભરાવી પાલિતાણા તરફ રવાના કરાયો છે. બાતમીના આધારે એલસીબી ટીમે ટોલનાકા નજીક દરગાહ પાસે વોચ ગોઠવી પીકઅપને અટકાવી હતી અને તપાસ કરતાં શાકભાજીની આડમાં સંતાડેલી દારૂની 1,824 બોટલ રૂ. 4.62 લાખ મળી આવી હતી. પોલીસે પીકઅપ ડ્રાઈવર રોહિત પાંગળ (રહે. રાજસ્થળી, કાગડાધાર, તા. પાલિતાણા, જિ. ભાવનગર)ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે ત્રણ લોકોની ઓળખ કરી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. એલસીબીએ પીકઅપ વાન, મોબાઈલ તથા દારૂ સહિત રૂ. 9.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગરોએ દારૂ છુપાવવાની રીત બદલી હાલમાં પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપતા બુટલેગર પણ દારૂ સંતાડીને લઈ જાય છે, જેમાં હાલમાં એક યુવતી સાથે યુવક મોંઘી કારમાં લાખોનો દારૂની હેરાફેરી કરતી ઝડપી પાડી હતી. વાયરની વચ્ચે, પ્લાસ્ટિક કચરાની વચ્ચે અને હવે શાકભાજીના કેરેટમાં દારૂ છૂપાવીને લઈ જતા હોય છે.
પાણીનો વેડફાટ:દશેરા ટેકરી વિસ્તારમાં પાણીની લાઇન તૂટી
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં કામ કરી રહેલ જેસીબીથી પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. નવસારી શહેરમાં મનપા વિવિધ વિભાગોના કામો કરી રહી છે. આવું એક કામ દશેરા ટેકરી વિસ્તારમાં પણ ચાલી રહ્યું છે. જેસીબી મશીન થકી આ કામગીરી ચાલુ હતી ત્યારે સરસ્વતી મંદિર નજીક પાણીની લાઇન વહેલી સવારે તૂટી ગઈ હતી. તૂટેલ લાઇનમાંથી મોટા જથ્થામાં પાણી બહાર આવવા લાગ્યું અને રોડ પર રેલાયું હતું. થોડા સમયમાં હજારો લીટર પાણી રેલાઈ ગયું હતું. મનપા તંત્રને જાણ થતા સ્થળ ઉપર જઈ મરામત કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ સવારે લાઇન તૂટતા નજીકના વિસ્તારમાં પાણીની થોડી તકલીફ પડી હતી, જોકે બપોર બાદ રાબેતા મુજબ થઈ જતા હાશ થઈ હતી.
બદલી:રેન્જ આઈજીના નિરીક્ષણ બાદ નવસારીના 5 PI ની આંતરિક બદલી
નવસારી જિલ્લામાં રેંજ આઇજીના વાર્ષિક ઇન્સ્પેક્શનના બીજા જ દિવસે અચાનક પાંચ પીઆઇની બદલી કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નવસારી જિલ્લામાં વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નવસારી પોલીસ અધિક્ષક (IPS) રાહુલ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી પાંચ બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓ રેન્જ આઈજીના નિરીક્ષણ બાદ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. બદલીની વિગતો જોઈએ તો નવસારી રૂરલના પીઆઈ પી.બી.પટેલીયાને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. ગણદેવી પીઆઈ વી.જી.ભરવાડની બદલી નવસારી રૂરલ પો.સ્ટે.માં કરવામાં આવી છે. એલસીબી ફરજ બજાવતા ડી.એમ. રાઠોડને ગણદેવી પોલીસ મથકે નવા નિમણૂક સ્થળે મૂકવામાં આવ્યા છે. મરોલી પીઆઇ ડી.જે. પટેલને પણ લીવ રિઝર્વમાં ખસેડવામાં આવ્યા છે. એલસીબીના પીઆઇ આર.એસ.ગોહિલની બદલી મરોલી પો.સ્ટે.માં કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં રેન્જ આઇજીના વાર્ષિક ઇન્સ્પેક્શનના બીજા જ દિવસે અચાનક બદલી કરી દેવામાં આવતા પોલીસ વિભાગમાં અન્ય પીઆઇની બદલી પણ ટૂંક સમયમાં થશે તેવી માહિતી મળી છે.
નવસારીના 8 ઈન્ફ્લુએન્સરની સુંદર જનસેવા:ડાંગની વૃદ્ધ મહિલાને 8 દિવસમાં જ પાકું ઘર બનાવી આપ્યું
નવસારી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકો રીલ્સ જોઈ મનોરંજન માણતા હોય છે. આ કલાકારો સમાજમાં સારી કે નબળી કામગીરી કરે તેનું અનુસરણ સમાજના લોકો પણ કરતા હોય છે. નવસારીમાં રહેતા સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સર દ્વારા ડાંગમાં કપડા વિતરણ કરવા ગયા હતા ત્યારે એક વૃદ્ધ મહિલાનું ઘર તૂટેલું જોયું હતું. તેમને સારા કપડા આપી વચન આપ્યું કે બીજી વખત આવીશું ત્યારે તમારા માટે પાકું ઘર બનાવી આપીશું. આઠ ઈન્ફલુએન્સરે સોશિયલ મીડિયાના તેમના એકાઉન્ટ પરથી પૈસા નહીં ઘર બનાવવા સામગ્રી આપો એવી ટહેલ નાંખતા મદદ પહોંચી ગઇ હતી. દિવાળી જેવા પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરજે રાહુલ અને કેકે કેમેડીની ટીમ દ્વારા અનાજની કીટ અને કપડાંનું વિતરણ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ટીમ જ્યારે આહવાના જાખાના ગામે પહોંચી ત્યારે તેમને એક વૃદ્ધ નિરાધાર દાદી મળી હતી. દાદી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ ઘર વિહોણા હતા. ગામમાં કપડાંનું વિતરણ પૂર્ણ થયા બાદ ટીમે વૃદ્ધા માટે મોટો નિર્ણય લીધો અને રાહુલ, કે.કે.કોમેડી (કરણ), જિગ્નેશ લહારે, યશ બિલ્લો, એની, રાઘવ, રોહિત, આશુ અને તેમના મિત્રોએ 8 દિવસની મહેનત કરી વૃદ્ધાને પાકું ઘર બનાવી આપ્યું હતું. મટિરિયલ આપો ની ટહેલ દાતાઓને ગમી નવસારીના જાણીતા ઈન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ માટે આગળ આવવા વિનંતી કરી હતી. પૈસાની માગણી કર્યા વગર સીધા મકાનના મટિરિયલ માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. થોડા જ સમયમાં અનેક દાતાઓએ દાદીના નવા ઘર માટે મદદે આગળ આવ્યા હતા. તે યુવા ટીમની સફળતા કહી શકાય. 9માં દિવસે ગૃહ પ્રવેશ કરાવ્યો દાતાઓ તરફથી મળેલા મટિરિયલ અને સહકારના આધારે એક ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી હતી. અમારી ટીમ ફરીથી આહવાના જાખાના ગામે પહોંચી ગઈ અને ફક્ત 8 દિવસની સખત મહેનતથી દાદીને ઘર બનાવી આપ્યું હતું. 8 દિવસમાં ઘર બાંધવું લગભગ અશક્ય જેવી બાબત હતી પરંતુ ટીમ હારી ન હતી અને મજૂર ન હોવા છતાં ટીમના સભ્યોએ સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી સતત મહેનત કરીને ઘર પૂર્ણ કર્યું હતું અને 9માં દિવસે દાદીને નવા ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. > રાહુલ કહાર, સભ્ય
ભાસ્કર ફોલોઅપ:આખરે લુન્સીકૂઇ મેદાનમાં શૌચાલય બનાવવાનો તઘલખી નિર્ણય મોકૂફ
નવસારી મહાનગરપાલિકાએ પોતાની અક્કલનું પ્રદર્શન કરતો નિર્ણય આખરે મોકૂફ રાખવાની ફરજ પડી છે.શહેરના ઐતિહાસિક ધરોહર સમાં અને એકમાત્ર એવા લુન્સીકૂઇ મેદાનમાં મહાપાલિકાએ ખાડા ખોદીને શૌચાલય બનવવાનો હાસ્યસ્પદ નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણયની સામે રમતપ્રેમીઓ અને શહેરીજનોમા વિરોધનો વંટોળ ઉભો થયો હતો. જાગૃત નાગરિકોએ આ બાબતે મહાપાલિકા અને કલેકટરને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સિવાય ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરાઈ હતી. જેને લઇને મહાપાલિકાએ હાલ આ નિર્ણય મોકૂફ રાખ્યો છે અને નવસારીના જાગૃત નાગરિકો તથા રમતગમતપ્રેમીઓની સંગઠિત અવાજે વિજય મેળવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ થોડા દિવસો પૂર્વે મહાનગરપાલિકાએ લુન્સીકૂઈ મેદાનમાં શૌચાલય બાંધવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે મેદાનમાં ખાડાઓ પણ ખોદાઈ ગયા હતા. મેદાનને બચાવવા શહેરજનો, ખેલાડીઓ અને સ્થાનિક યુવાનો દ્વારા જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ અને શહેરના નાગરિકોએ ખુલ્લા મેદાનના મહત્વને રજૂ કર્યું હતું.
પ્રજાજન પરેશાન:નવસારીની NRI માર્કેટ તરીકે જાણીતા મોટા બજાર માર્ગ પર ફરી ગટર ઉભરાઇ
નવસારી મોટા બજારમાં ગટરનું ગંદુ પાણી દુકાનોના ઓટલા સુધી શહેરના આ વ્યસ્ત માર્ગ પર ગટરના ગંદા પાણી સતત ઊભરાઈને રસ્તા પર ફેલાયેલા રહે છે. આ પાણી હવે માત્ર રસ્તા પૂરતું સીમિત ન રહેતા, દુકાનોના ઓટલા અને પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયા છે. ગંદકી અને દુર્ગંધને કારણે ગ્રાહકો અહીં આવવાનું ટાળી રહ્યા છે. ઉભરાતા ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. NRI માર્કેટ તેના નામ પ્રમાણે વિદેશમાં વસતા નવસારીવાસીઓ અને અન્ય વિદેશી પ્રવાસીઓ માટે ખરીદીનું મુખ્ય સ્થળ છે. હાલમાં લગ્નસરા અને તહેવારોની સિઝનને કારણે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આ માર્કેટની મુલાકાતે આવી રહ્યા છે. આ અંગે સ્થાનિક દુકાનદારોએ નવસારી મનપામાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સફાઈ કરીને સંતોષ માનવામાં આવે છે. NRI પૂછે કે આ શું છેવિદેશથી આવેલા મહેમાનો જ્યારે આ ગંદકીમાંથી પસાર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્ય અને ધૃણા સાથે પૂછે છે કે આ શું છે ? વિદેશોમાં જ્યાં સ્વચ્છતાને પ્રાથમિકતા અપાય છે, ત્યાં નવસારીની આ સ્થિતિ જોઈને શહેરની છબી ખરડાઈ રહી છે. આનાથી વિદેશોમાં નવસારીની છબી ઉભરાતી ગટરોના શહેર તરીકે બની રહી છે, જે શરમજનક બાબત કહેવાય છે. > દુકાનદાર, મોટા બજાર
લોકો કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર:ઝવેરી સડકથી રીંગરોડ તરફ જતો રોડ ન બનતા સ્થાનિકોને હાલાકી
નવસારી નગરપાલિકામાંથી મનપા બનવા છતાં ઝવેરીસડકથી ભેંસતખાડા વિસ્તારમાં માત્ર થોડા મીટર રસ્તો ન બનતા લોકો કાચા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. નવસારીમાં ઝવેરી સડકથી રિંગરોડ તરફ જતા માર્ગ સાંકડો પણ ત્યાંથી ટૂંકો રસ્તો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા છતાં હજુ સુધી રસ્તા બન્યા નથી. મનપા ટૂંકો રસ્તો બનાવી લોકોની હાલાકી દૂર કરવા માંગ ઉઠી છે. આ વિસ્તારમાં પાંચ જ ઘર હોય પણ લોકોને સુવિધા આપે તે જરૂર બન્યું છે. સ્થાનિક મોહનભાઇએ જણાવ્યું કે અમારી બીજી પેઢી રહે છે પણ ત્યારથી હમણાં સુધી રસ્તો બનાવ્યો નથી. ચોમાસામાં હાલત ખરાબ થઈ જતા મુશ્કેલી પડી રહી છે.

32 C