વાપીમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનો મામલો:ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો, વધુ તપાસ શરૂ
વલસાડ જિલ્લાના વાપીમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના મામલે વાપી ઉદ્યોગનગર પોલીસે કાર્યવાહી કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સહુલ દિનેશકુમાર માલીના કહેવાથી નરેશભાઈ દુદારામ માલી અને આકાશકુમાર ગોવિંદકુમાર માલીએ પોતાના તથા અન્યના બેંક ખાતાઓમાં સાયબર ઠગાઈના રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ ટ્રાન્સફર અને વિડ્રો કરીને ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. SAMANVAYA પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે કોટક મહિન્દ્રા બેંક, સાઉથ ઈન્ડિયન બેંક અને એચડીએફસી બેંકના ખાતાઓમાં અલગ-અલગ રાજ્યોમાંથી થયેલી સાયબર ફરિયાદોની વિગતો મળી હતી. તપાસમાં કુલ ₹૨,૨૭,૯૯૫ની રકમ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું જણાયું છે, જે તમામ રકમ ટ્રાન્સફર અને વિડ્રો કરી લેવામાં આવી હતી. આ મામલે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગક્ષ્મણભાઈ ગુલાબસિંહ વળવીએ તા. ૧૪/૧૨/૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૬૧(૨), ૩(૫) તેમજ આઈટી એક્ટ ૨૦૦૮ની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સહાય:મોરબીના શહીદ જવાનના પરિવારને નિવૃત્ત શિક્ષિકાએ મરણમૂડીમાંથી 51 હજાર આપ્યા
મોરબીના ભારતીય સેનાના જવાન ગણેશભાઈ પરમાર ફરજ દરમિયાન શહીદ થયા હતા. આથી આ શહીદ જવાનની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને તેમની વીરગતિને નત મસ્તક વંદન કર્યા હતા, તેમનો પરિવાર સાધારણ હોવાથી એક નિવૃત શિક્ષિકાએ શહીદ જવાનના પરિવારને મરણમૂડીમાંથી 51 હજારની સહાય આપી છે. તેમાં પ્રેરણા અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ નિવૃત્ત શિક્ષિકા વિકલાંગતાની સાથે આર્થિક સ્થિતિ સામાન્ય ધરાવતા હોવાથી ગુજરાન જ ચલાવી શકે એમ હોવા છતાં ક્ષમતા બહાર જઈને આર્થિક યોગદાન આપીને ખોટી રીતે પૈસાનો ધુમાડો કરતા નબીરાઓને ધડો લેવાની શીખ આપી છે. મોરબીના ડી. જે. પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા કે જેઓ નિવૃત થયા પછી પણ નિયમિત પોતાની ફરજ બજાવે છે, પોતે એક પગે અપંગતા ધરાવે છે, છતાં સમાજ માટે પોતાના તરફથી કંઈકને કંઈક યોગદાન આપતા રહે છે, વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડ અર્પણ કરવા, જરૂરિયાત મંદ દીકરીઓને કરિયાવર આપવો, પુસ્તકાલય માટે પુસ્તકો આપવા, અનાથ બાળકોને યુનિફોર્મ આપવા વગેરે પ્રવૃત્તિઓ કરતા નિવૃત શિક્ષિકા નીતાબેન પટેલે દેશની રક્ષા કાજે સરહદ પર સેવા આપતા મોરબીના શહીદ વીર ફૌજી જવાન ગણેશભાઈ પરમારના પરિવારજનોને મળી સાંત્વના આપી શહીદ જવાનના પિતાને પણ પેરાલિસિસ થયું છે. એમને રૂપિયા એકાવન હજારનો ચેક અર્પણ કરી નિતાબહેને પોતાની મરણ મૂડીમાંથી ફૂલ નહિં તો ફૂલની પાંખડી અર્પણ કરી શહીદ જવાનને વિરાંજલી આપી છે.
ભાસ્કર ઇમ્પેક્ટ:રાજકોટ-મોરબીથી કચ્છને જોડતા ધોરીમાર્ગની મરામત અંતે શરૂ કરાઇ
દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે તંત્રને દોડવું જ પડ્યું ભાસ્કર ન્યૂઝ | ટંકારા રાજકોટ વાયા મોરબીથી છેક કચ્છ ને જોડતા મસમોટા ધોરીમાર્ગ પર પ્રતિદીન હજારો વાહનોની વણથંભી આવનજાવન રહે છે. એ ચેતનવંતો હાઈવે છેલ્લા ઘણા લાંબા સમયથી ઠેકઠેકાણે સંપૂર્ણ ભાંગીને ઉપેક્ષાથી મગરની ખાલ જેવો બની ગયો હોવા છતા અને અનેક રજુઆતોને તંત્ર કે શાસકોના બહેરા કાને સંભળાય ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનાનેતા મહેશ રાજકોટીયાએ દિન ૧૫ મા હાઈવેનુ રીસરફેસિંગ કામ હાથ ન ધરાય તો લોકો ને સાથે રાખી ચક્કાજામ કરવાની ચિમકી આપતો પત્ર મુખ્યમંત્રીને પાઠવ્યો હોવાનો અહેવાલ દિવ્યભાસ્કરે ગત ૪ થી ડિસેમ્બરે પ્રકાશિત કરતાં નિંભર તંત્રને રેલો આવ્યો હતો અને સોમવારે સવારથી જ હાઈવે નુ રીફ્રેશીંગ કામગીરી હાથ ધરી હતી. કોંગ્રેસના નેતાએ પત્રમાં લખ્યું હતું કે રાજકોટથી વાયા ટંકારા, મોરબીથી કચ્છ તરફ જતો ધોરીમાર્ગ ચોતરફ ભાંગી પડવાથી મગરની ખાલ જેવો બની ગયો હોવા છતાં ઉપેક્ષા થઈ રહી છે. જ્યારે જન આક્રોશ ફાટી નિકળે ત્યારે થીંગડા મારવાની મેલી મુરાદથી હાઈવે ઉંટની પીઠ જેવો બની ગયો છે. પરીણામે હાઈવે વધુ પીડા દાયક બન્યો હોવાનો બળાપો કાઢી વટેમાર્ગુ થી વાહનચાલકો સુધીના પસાર થનારા લોકોને યાતનાથી મુક્ત કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી અને સાથે સાથે એવો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે સતાધારી પક્ષના ધારાસભ્યની લેખીત રજૂઆત પણ ઘોળીને પીવાઈ ગઈ છે તે વર્તમાન સરકાર બહેરી મુંગી હોવાની સાબિતી છે. આથી જો દિવસ ૧૫માં હાઈવે રીસરફેસિંગ કામગીરી હાથ નહીં ધરવામા આવે તો લોકોના મુદ્દે લોકોને જોડી હાઈવે પર ચકકાજામ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જે અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને હાઇવેની મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સાઇબર ઠગાઇ:મોરબીમાં સાઇબર ઠગાઇમાં કમિશનથી બેન્ક ખાતા ભાડે આપનાર વધુ 8 સામે ગુનો દાખલ
મોરબીમાં સાઇબર માફિયાઓને ગુનાખોરીમાં મદદરુપ થઈ કમિશન રૂપી મલાઈ તારવવી લાલચુઓને ભારે પડી છે. સાઇબર માફિયાઓને કમિશન માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સ સામે સતત ફોજદારી કાર્યવાહી થઈ રહી છે. ત્યારે સાયબર ફ્રોડમાં મદદગારી બદલ વધુ 8 સામે ફરિયાદ નોંધાઈ છે. મોરબી એ ડિવિઝન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વધુ બે નોંધાયેલા ગુનામાં રૂ.11 લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરીને રકમને સગેવગે કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ફરિયાદ નોંધાઇ છે, જેમાં શાહિદભાઈ સુભાનભાઈ મુલતાની, વિરલભાઈ હિંમતભાઈ ઇસલામીયા,દિપેશ હિંમતભાઈ ઇસલામીયા તથા સમીર બદીયાણી સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ ગુનાની વધુમાં પોલીસે પાસેથી મળેલી માહિતી મુજબ બેંક એકાઉન્ટ ધારાકના આઈડીબીઆઇ બેન્કના એકાઉન્ટમાં સમીર બદીયાણી મારફતે 9,08,785 રૂપિયા આવ્યા હતા તે વિરલ તથા તેના ભાઈ દિપેશ અને તેની સાથેના અન્ય શખ્સોએ આર્થિક લાભ મેળવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને સાયબર છેતરપિંડીથી નાણા મેળવ્યા હતા. હાલમાં આરોપી શાહિદભાઈ સુભાનભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વસંત જયરાજભાઇ વાઘેલા, લાલજીભાઈ શામજીભાઈ દેગામા , રવિભાઈ ગઢવી, ગોપાલભાઈ ઉપસરીયા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઇ છે. જેમાં જણાવ્યું છે કે વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી 2,01,120 આવ્યા હતા જે રવિભાઈ ગઢવી અને ગોપાલભાઈએ લાગતા વળગતાઓ સાથે પૂર્વ આયોજિત કાવતરું રચીને તે રકમને બેન્ક એકાઉન્ટમાંથી ચેકથી કે એટીએમ મારફતે વીડ્રો કર્યા હતા અને તે નાણાને સગેવગે કર્યા હતા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:મોરબીના સાહિત્યકારની દીકરી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમે ઝળકી
મોરબીના પ્રખર સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની પુત્રી પલક બરાસરાએ પિતાના નકશે કદમ ઉપર ચાલી ભણતરની સાથે કલાજગતમાં પણ શ્રેષ્ઠ કૌવત બતાવી મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ગાયન સ્પર્ધામાં દ્વિતય નંબરે વિજેતા થઈને પિતાનું નામ રોશન કર્યું છે. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી અને બી.આર.સી હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ બી.આર.સી ભવન હળવદમાં યોજાયો હતો. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાયન સ્પર્ધામાં મોરબીની સાર્થક વિદ્યામંદિર ધોરણ ૧૧માં અભ્યાસ કરતી બરાસરા પલક અશ્વિનભાઇ એ જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે. પલકના પિતા અશ્વિનભાઈ બરાસરા વાણિજ્યના સ્નાતક હોવા છતાં સાહિત્ય અને કલા પ્રત્યે ભારે લગાવ છે. તેઓએ દુહા, છંદ, કાવ્ય, મતાજીની સ્તુતિગાનમાં પારંગત થઈ અનેક વખત કલા મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ મેળવી ચુક્યા છે. ત્યારે પિતાના સંસ્કારો અને કલાનો વારસો પુત્રીમા ઉતર્યો હોય એમ નાની વયથી ગાયનમાં સારી એવી નિપુણતા મેળવી છે.
રેસ્ક્યૂ:મોરબીમાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ડૂબતી વ્યક્તિને બચાવી લીધી
મોરબીના જૂના રફાળેશ્વર રોડ ઉપર રાત્રે એક વ્યક્તિ તળાવમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આખું તળાવ ખુંદી નાખી એ તણાતી વ્યક્તિને બચાવી લીધી હતી. મોરબી ફાયર બીગ્રેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશ ટાંકીએ જણાવ્યું હતું કે,ફાયર કંટ્રોલ રૂમ પર રાતે 9.31 વાગ્યે મોરબીના જૂના રફાળેશ્વર રોડ-ભડીયાદ રોડ પર જીઓ ટેક કારખાના પાસે આવેલા તળાવમાં એક માણસ ડૂબી રહ્યો છે તેવો કોલ આવતાં રીંગ બોટ સાથે સ્ટાફ દોડ્યો હતો. જો કે ડૂબતો વ્યક્તિ ક્યાંય દેખાતો ન હતો. પણ એનો અવાજ આવતો હતો. આસપાસના લોકો પણ કહેતા હતા કે તળાવમાંથી એ વ્યક્તિનો બચાવો બચાવોની બુમો સંભળાઈ હતી. પણ અંધારાના લીધે અમારું કામ કપરું બની રહ્યું હતું. છતાં ઊંડાણમાં બોટની મદદથી સતત શોધખોળ કરીને એ વ્યક્તિને તળાવમાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો. જો કે એ યુવાન ઠંડીને કારણે થર થર ધ્રૂજતો હોવાથી બોલતો હોય એ કશું સમજાતું ન હોય પહેલા મેડિકલ ટ્રીટમેન્ટ માટે અને આગળની તપાસ માટે 118 વાનને સોંપી દેવાયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની કામગીરીને લોકોએ બિરદાવી હતી.
મંથર ગતિથી કામગીરી:તલવણી નજીકનો બ્રિજ 4 માસથી બંધ: સમારકામની કામગીરી શૂન્ય
તલવણી નજીક આવેલ મહત્વપૂર્ણ બ્રિજ છેલ્લા 4 મહિનાથી ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજની હાલત ખરાબ હોવાનું કારણ બતાવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ લાંબા સમયગાળા દરમિયાન બ્રિજના સમારકામ કે નવિનીકરણની કોઈપણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ બંધ હોવાના કારણે આ માર્ગ પરથી પસાર થતી એસટી બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અનેક ગામોને તાલુકા તથા જિલ્લામથક સાથે જોડતી મહત્વની એસટી રૂટ પર બસો બંધ થવાથી મુસાફરોને વિકલ્પી માર્ગો અપનાવવા મજબૂર બનવું પડ્યું છે. વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, દર્દીઓ તેમજ વેપારીઓને સમય અને ખર્ચ બંનેમાં નુકસાન થઈ રહ્યું છે. લોકોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર–દુધરેજ માર્ગ ઉપર આવેલ પુલનું કામ પૂર્ણ થઈને સંપૂર્ણ નવો પુલ બની ગયો છે, જ્યારે તલવણી નજીકના બ્રિજનું કામ હજુ સુધી શરૂ પણ કરવામાં આવ્યું નથી.
વઢવાણ GIDC SBI તરફનો રસ્તો બિસમાર, લોકો પરેશાન:રસ્તામાં ખાડો અને ખાડામાં પાણી ભરાતા અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર-વઢવાણ જીઆઈડીસી તરફના મુખ્ય એવા એસબીઆઈ બાજુનો રસ્તો બિસમાર બની ગયો છે. આ રસ્તામાં ખાડા સાથે રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરનો મુખ્ય એવો વઢવાણ જીઆઈડીસી એસબીઆઈ બેંક બાજુનો રસ્તો ગણવામાં આવે છે. આ રસ્તા પરથી ચારેય દિશાઓમાંથી વાહનો- રાહદારીઓ મોટી સંખ્યામાં પસાર થઇ રહ્યા છે. આ રસ્તાથી વઢવાણ જીઆઈડીસી, એસબીઆઈ બેંક સહિતના સ્થળોએ આવવા-જવા માટે લોકો માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ આ રસ્તો બિસમાર બની ગયો છે. અને રસ્તામાં ખાડાઓ પડવાની સાથે પાણીનો જમાવડા સાથે કાદવકીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. આથી અહીં પસાર થતા નાના-મોટા વાહનો સાથે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બિસમાર રસ્તાના કારણે ટુ-વ્હીલર વાહનો પણ સ્લીપ ખાવાની સાથે ચાલકો પડી રહ્યા છે. આથી આ બિસમાર રસ્તા ઉપર કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા માટીનું પૂરાણ કરાવીને યોગ્ય કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે.
વઢવાણ શહેરના પાંજરાપોળથી આગળ આવેલા સતવારાપરા વિસ્તારના રોડ પર લીકેજ પાણીના કારણે અને દર પાણીના વારે પાણીની રેલમછેલ થતા રાહદારીઓ, વાહનચાલકો હાલાકી પડે છે. આ ઉપરાંત લીકેજ પાણીના કારણે આગળના વિસ્તારમાં પણ પૂરું પાણી ન મળતું હોવાની રાવ ઉઠી છે. ધોળીધજા ડેમમાંથી સુરેન્દ્રનગર-વઢવાણના શહેરીજનોને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. અને તેના માટે મનપા દ્વારા ઝોન પ્રમાણે દિવસો પણ ફાળવેલા છે અને નિયમિત પાણી પુરૂ પાડે છે. તો બીજી તરફ કેટલા વિસ્તારોમાં પાણી લીકેજના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વઢવાણ શહેરના ખાંડીપોળ, લાખુપોળ, ખારવાની પોળ, માલધારી ચોકી, કંસારાવાડ, મોતીચોક, શિયાણીની પોળ, નવાદરવાજા બહાર અને અંદર સહિતના વિસ્તારોમાં પણ નળ દ્વારા પાણી વિતરણ રકરાઇ રહ્યુ છે. ત્યારે વઢવાણ મહાજન પાંજરાપોળથી લઇને સતવારાપરા વિસ્તાર તરફ જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી લીકેજ પાણીની રેલમછેલ થતી હોવાની લોકોમાં રાવ ઉઠી છે. 10 થી વધુ વિસ્તારોના લોકો માટે આ રસ્તો મુખ્ય માર્ગ બની ગયો છે. કારણે હોસ્પિટલ, શાકમાર્કેટ, કરિયાણુ હટાણુ, શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિતના રાહદારીઓ અને વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ રસ્તા લીકેજ પાણીના કારણે ઠેર ઠેર ખાબોચીયા ભરાતા લોકો હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે મોહનભાઈ પરમાર, ગુણવંતભાઇ મકવાણા વગેરે જણાવ્યું કે, આ રસ્તા ઉપર યોગ્ય તપાસ કરીને લીકેજ પાણી કે વેડફાતુ પાણી બંધ કરાવવુ જોઇએ. સતવારાપરા વિસ્તારમાંથી પસાર થતી પાણીની લાઈનથી આજુબાજુના વિસ્તારોને પણ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ પાણી લીકેજ રહે તો આગળના વિસ્તારોને પાણીમાં મુશ્કેલી ઉભી થાય છે. પાણીના વારે જ રસ્તા પર પાણી વેડફાતા પૂરાતા પ્રમાણમાં પાણી મળતુ નથી.
અકસ્માતને નોતરું:ટીકર ગામનો નર્મદા કેનાલના પુલ જર્જરિત હોવાથી અકસ્માતનો ભય
હળવદ તાલુકાના ટીકર ગામ પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલથી ઘાટીલા જવાના રસ્તા ઉપર નર્મદા કેનાલ ઉપર વર્ષો પહેલા પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પુલ જર્જરિત અને બિસમાર હાલતમાં હોય ગમે ત્યારે ધરાશાઈ થાય તેવી હાલતમાં છે. ત્યારે તેના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે પુલનું સમારકામ કરાવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો અને ગામ લોકોને માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ થકી એક ગામથી બીજે ગામ જવા માટે ખેડૂતો વાહન ચાલકોને હાલાકી ન પડે અને ખેડૂતોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે થઈને નર્મદા કેનાલ પર પુલ બનાવવામાં આવ્યા છે. ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામે પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પાસે વર્ષો પહેલા અને ટીકર અને ઘાટીલા સીમના રસ્તા ઉપર નર્મદા કેનાલમાં પુલ બનાવવામાં આવ્યો છે. પુલના સળિયા અને સિમેન્ટ કોંક્રેટ પણ ઉખડી ગયો જર્જરિત અને બિસમાર હાલતમાં હોવાથી આ પુલ ગમે ત્યારે ધરાશાઈ થવાની દહેશત જ છે. ત્યારે ટીકર અને ઘાટીલાના ખેડૂતોને આ પુલ ઉપરથી ભારે વાહનો લઈને પણ પસાર થવું પડે છે. ઘાટીલાની સીમમાં આભલી વાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરે આવતા દર્શનાર્થીઓને અકસ્માત થવાનો દહેશત છે.
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા શહેરમાં મુખ્ય જંક્શનના સર્વે કરી ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. શહેરના લો-ગાર્ડનથી પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિદ્યાલય સુધી L આકારમાં 780 મીટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રૂપિયા 98 કરોડના ખર્ચે બનતા આ બ્રિજની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ બ્રિજની કામગીરીને લઈ ત્રણ તબક્કામાં રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આંબાવાડીથી લઈ સીએન વિદ્યાલય તરફનો રોડ બંધ કરાયો છે. ગુજરાત ST બસ, ખાનગી ટ્રાવેલ્સો, AMTS અને અન્ય ભારે વાહનોને પાલડી બસ સ્ટેન્ડથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરનો વૈકલ્પિક રૂટ અપનાવાનો રહેશે. બ્રિજની કામગીરીને લઈ રસ્તા પર પતરા લગાવી દેવામાં આવ્યા છે. 98.18 કરોડના ખર્ચે બનતા બ્રિજથી દોઢ લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહતબ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લો-ગાર્ડનથી પંચવટી થઈ આંબાવાડી સર્કલ થઈ CN વિદ્યાલય સુધી 98.18 કરોડના ખર્ચે આ બ્રિજ દોઢ વર્ષમાં તૈયાર થશે. બ્રિજ બન્યા બાદ રોજના દોઢ લાખ કરતા વધુ વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. જેમાં 69 હજાર જેટલા ટુવ્હીલર અને 31 હજાર જેટલી ફોર વ્હીલર આ રૂટ પરથી પસાર થતી હોવાથી બ્રિજ બન્યા બાદ તેમને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવામાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત 13 હજાર જેટલી રિત્રા પણ આ રૂટ પરથી જ પસાર થતી હોવાથી તેમને પણ રાહત મળશે. આ બ્રિજ 17 મીટર પહોળો અને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરાશે.
ભાસ્કર ન્યૂઝ।વઢવાણ ઝાલાવાડમાં ખેતરોમાં વીજ લાઇન કામગીરીથી ખેડૂતો ખફા થયા છે. વઢવાણ તાલુકામાં ખેતરોમાં વીજ લાઇન નાખવામાં વળતર ભાજપ સરકાર ઓછું આપે છે આથી વઢવાણ મામલતદાર કચેરી ખાતે સોમવારે પાવરગ્રિડ વીજલાઈન બાબતે ખેડૂતોએ રજૂઆત કરી છે. ખેડૂતોને હાલ એક ચોરસ મીટરે રૂ. 937 ચૂકવવાની વાત છે. જ્યારે ખેડૂતોની માંગણી એક ચોરસ મીટરે રૂ. 1700ની છે. વઢવાણ તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાવરગ્રિડની હાઇ ટેન્શન વીજલાઈન તથા પોલ નાખવાની કામગીરી થવાની જાણકારી આપવામાં આવી છે. આ બાબતે ખેડૂતોને મળતું વળતર પૂરતું ન હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ અંગે વિક્રમભાઈ રવજીભાઈ, મહેન્દ્રસિંહ સોલંકીએ વગેરે જણાવ્યું કે વઢવાણ વિસ્તારમાં જંત્રી (જમીનનો દર) ખૂબ ઓછી ગણવામાં આવી છે. જ્યારે બાજુના મેમકા ગામમાં વધુ વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે વઢવાણ વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોવા છતાં અહીં જંત્રી ઓછી રાખવામાં આવી છે, જે ખેડૂતો માટે અન્યાયરૂપ છે. પાવરગ્રિડના પોલ નાખવાથી ખેતરમાં થતું નુકસાન, પાક બરબાદી તથા ભવિષ્યમાં ખેતી પર થતી અસરને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા પૂરતું અને ન્યાયસંગત વળતર આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, પોલ અને લાઈન નાખવાના કારણે થયેલ નુકસાનનું અલગથી વળતર ચૂકવવાની પણ ખેડૂતોની માગ છે. આ મુદ્દે વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા વઢવાણ મામલતદાર રાજેન્દ્ર કુમાર પંચાલને મૌખિક રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. 600 વીઘા જમીનને અસર સતવારાપરામાં રહેતા ખેડૂત પ્રમોદભાઇ મકવાણાએ જણાવ્યુ કે, વઢવાણમાં 20 થાંબલા નાંખવાના છે. તેમાં 600 વીઘા જમીનને અસર થાય છે. ખેડૂતોને હાલ એક ચોરસ મીટરે રૂ. 937 ચૂકવવાની વાત છે. જ્યારે ખેડૂતોની માંગણી 1 ચોમીએ રૂ. 1700ની છે. બીજુ વઢવાણની જંત્રી ઓછી છે અને ગ્રામ્યની જંત્રી વધારે છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ દ્વારા 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 4.0માં અત્યંત સક્રિય અને અસરકારક ભાગીદારી નોંધાવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય પેન્શનરોને ડિજિટલ સુવિધાઓથી સશક્ત બનાવવાનો અને “જીવન પ્રમાણ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને સુગમ બનાવવાનો હતો. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ તથા ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીના અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમૃત વી. સોલંકીના નેતૃત્વમાં એકાઉન્ટ્સ અને કાર્મિક વિભાગની ટીમો, કલ્યાણ નિરીક્ષકો, સુપરવાઇઝર્સ, પેન્શનર એસોસિએશનો અને વિવિધ બેંકોના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ્સ વિભાગ દ્વારા જામનગર, હાપા, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત ડિવિઝન હેઠળની વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંક શાખાઓમાં વિશેષ DLC શિબિરોનું આયોજન કરાયું હતું. આ સાથે, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજરની ઓફિસ, રાજકોટ ખાતે દરરોજ એક સમર્પિત હેલ્પ ડેસ્ક પણ ચલાવાયું હતું. આ શિબિરો અને સુવિધાઓ દ્વારા કુલ 425 નિવૃત્ત રેલવે કર્મચારીઓને સીધો લાભ મળ્યો. દિવ્યાંગ અને અતિ વરિષ્ઠ પેન્શનધારકોને સ્થળ પર જ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવી આપવાની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. 125 પેન્શનરે સુરેન્દ્રનગર, થાન, જામનગર અને હાપામાં આયોજિત શિબિરોમાં પ્રક્રિયા સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું. આ રીતે પ્રમાણપત્ર જમા કરવું પેન્શનધારકો ઘરે બેઠા જ પોતાનું ડિજિટલ જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે. આ માટે તેમને માત્ર બે એપ્લિકેશનની જાણકારી હોવી જરૂરી છે. સૌ પ્રથમ AadhaarFaceRD એપની મદદથી ચહેરાની ઓળખ કરવી પડશે, ત્યારબાદ JeevanPramaan એપ પર જઈને જીવન પ્રમાણ પત્ર જનરેટ કરી શકે છે.
મનપાની ટીમનું રાત્રિ ચેકિંગ:સમયે ગંદકી કરનાર 20 દુકાનદારને રૂ. 20 હજારનો દંડ
સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપાની ટીમે અભિયાન હાથ ધર્યું છે. જેમાં ખાસ કરીને રાત્રીના સમયે સફાઇ અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતા હજુ પણ પાનના ગલ્લા,ખાણીપીણી સહિતની જગ્યાઓમાં કચરો રસ્તા ઉપર ફેંકી રહ્યા છે. તેના માટે સોમવારે મનપાની ટીમે હેન્ડલુમ રોડથી લઇને બસસ્ટેશન સુધી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 20 વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા સફાઇની સાથે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે ગાડી, રાત્રી સફાઇ સહિતની કામગીરી કરી રહી છે. તેમ છતાં હજુ પણ અનેક વિસ્તારમાં ગંદકી હોવાની ફરિયાદો આવી રહી છે. જેમાં ઘણી જગ્યાએ લોકોની જાગૃતતાના અભાવે પણ ગંદકી થતી હોવાની બાબત સામે આવી છે. તેના માટે મનપાએ શહેરમાં રાત્રીના સમયે ઉભા રહેતા ખાણીપીણી, ચાની કિટલી, નાસ્તાની લારી, પાનના ગલ્લા સહિતના તમામ વેપારીઓને દુકાન આગળ ગંદકી ન કરવા સૂચના આપી હતી. તેમ છતાં તેનું પાલન કરવામાં ન આવતું હોવાનું ધ્યાને આવતા મનપાના સેનિટેશન વિભાગની ટીમે સોમવારે હેન્ડલુમ ચોકથી છેક બસસ્ટેશ સુધી ચેકિંગ કર્યું હતું. જે દુકાન કે લારીની આજુબાજુ ગંદકી જોવા મળી હતી તેવા 20થી વધુ વેપારીઓને રૂ.1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ કુલ રૂ.20 હજારનો દંડ વસુલ કરાયો હતો.
સુરેન્દ્રનગર જિ.પં.નું નવું રોટેશન જાહેર:કુલ બેઠક 32 જ રહી પરંતુ 29ના રોટેશન બદલાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે આવનાર ચૂંટણીના જાહેર થતા નવા રોટેશનને લઇને રાજકિયા ગરમાવો જોવા મળી રહયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું પણ રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં પહેલા હતી તેટલી જ કુલ 32 બેઠક રહેશે. અહીયા મહત્વની બાબત એ છે કે ગત ચૂંટણીમાં જે અનામતની બેઠકો હતી. તેમાં 29 બેકઠની અનામતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર 3 બેઠકનું રોટેશન બદલવામાં આવ્યું નથી. જેમાં સરામા સામાન્ય સ્ત્રી, સાલામાં બીનઆનમત સામાન્ય જયારે સુદામડામાં બીનઅનામત સામાન્યનું રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે. મોટા ભાગની બેઠકના રટેશન બદલાઇ જતા આ બેઠકો ઉપરથી ચૂંટણી લડતા મોટા માથાની પણ ટીકીટ કપાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે જે રોટેશન આવ્યું છે તેમાં અનામતમાં પણ મહિલાઓનો દબદબો રહયો છે. વર્તમાન પ્રમુખ સામાન્ય પુરૂષ છે. આથી આગામી નવા પ્રમુખ મહિલા બને તેવી પૂર્ણ શકયતાઓ સેવાઇ રહી છે. અને તેમાં પણ સામાન્ય પુરૂષ હાલ પ્રમુખ છે ત્યારે અનામત કેટેગરીમાંથી મહિલા પ્રમુખ બની શકે છે. ભાસ્કર એક્સપર્ટજયારે પણ નવું રોટેશન જાહેર કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને અનામત બેઠક માટે જે વિસ્તારમાં કોની સૌથી વધુ વસતી છે તેની ગણતરી કરવામાં આવે છે અને ત્યાર બાદ તે બેઠકમાં જેમની વસતી વધુ હોય તે જ્ઞાતિને ધ્યાને લઇ અનામત બેઠક જાહેર કરવામાં આવે છે. દરેક જ્ઞાતિના લોકોને લાભ મળે તે માટે આ રોટેશન બદલવામાં આવે છે. કઇ બેઠકમાં કોની અનામત જાહેર થઇ
વેપારીએ જીવન ટૂંકાવ્યું:ઉભેલી ટ્રકમાં કાર ભટકાવી ગાંધીધામના વેપારીનો કથિત આપઘાત
શહેરના પ્રવેશદ્વાર શેખપીર અને કુકમા વચ્ચે હાઈવે પર ગાંધીધામના 56 વર્ષીય વેપારીએ પોતાની કાર ઉભેલી ટ્રકની પાછળ ભટકાવી કથિત આપઘાત કરી લીધો હતો. મોત પહેલા તેમણે ચાલુ કારમાં વિડીયો બનાવી ગાંધીધામમાં પોતે ખરીદેલી દુકાન અને પ્લોટ બાબતે થયેલી ઠગાઈ કારણભૂત હોવાનું જણાવી નામજોગ આક્ષેપ કરી મરવા માટે મજબુર કરાયો હોવાનું જણાવ્યું છે.આ બનાવથી ગાંધીધામ સહીત જિલ્લાભરમાં ભારે ચકચાર ફેલાયો છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ગાંધીધામના શક્તિનગરમાં રહેતા 56 વર્ષીય વેપારી નરેશભાઈ ધર્મદાસ ચંદનાનીનું મોત નીપજ્યું હતું. બનાવ સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુકમા અને શેખપીર વચ્ચે હાઈવે પર બન્યો હતો.હતભાગી વેપારીની કાર ઉભેલી ટ્રકની પાછળ ભટકાઈ હતી.જેમાં ગંભીર રીતે ઈજાઓ પહોચતા બેભાન થઇ ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.હતભાગી ગાંધીધામ વેપારી એસોસિયેશનના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીના ભાઈ થાય છે.મોતના આ બનાવ બાદ સોશિયલ મીડિયા પર તેમનો ચાલુ કારમાં બનાવેલો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં પોતાની સાથે ગાંધીધામમાં ખરીદેલી દુકાન અને પ્લોટ મામલે સંજય રાય,કંચન રાય,અશોક ચેલાણી,માણેક ચેલાણી,બંટી ચેલાણી,મનીષ ઠક્કર અને રમેશ ગઢવી સહીતનાઓએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે.મિલકતની ખરીદીમાં ઠગાઈ અને હેરાનગતિ કરવામાં આવતા પોતે આપઘાત કરી રહ્યા હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પદ્ધર પોલીસ મથકના પીઆઈ એ.જી.પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આ મામલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે એમએલસી દાખલ કરાઈ છે.મૃતકના પરિવારજનો સામે આવ્યા બાદ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હું નરેશ ચંદનાની આપઘાત કરૂં છું મને ન્યાય અપાવજોહતભાગી વેપારીએ ચાલુ કારમાં બનાવેલ વિડીયો પ્રમાણે વર્ષ 2009 માં ચાવલા ચોકમાં માણેક ચેલાણી પાસેથી 65 લાખમાં દુકાન ખરીદી હતી. અશોક ચેલાણીએ ઓનરશીપ માટે 22 લાખ લીધા હતા.જે બાદ બન્ને ભાઈઓએ બે વર્ષ સુધી રખડાવી ઓનરશીપ ન આપી.જે બાદ આ પ્રોપટી કંચન રાયના નામે હોવાનું સામે આવ્યું હતું.આ મામલે પોલીસમાં પણ રજૂઆત કરાઈ પણ આ શખ્સો વગદાર હોવાથી કોઈ કાર્યવાહી થઇ ન હતી. જે બાદ આ દુકાન સહીતની પ્રોપટી પર 238 કરોડની લોન લીધેલી હોવાનું સામે આવતા આ શખ્સોએ દુકાનની કિંમત મુજબ 1.50 કરોડ આપવાનું કહ્યું હતું પણ આપ્યા ન હતા.અને અંતે 2019 માં બેંકે પ્રોપટી સીઝ કરી દેતા 1.50 કરોડમાંથી 0 માં આવી ગયો હતો ત્યારબાદ ફેક્ટરી માટે મનીષ ઠક્કર અને રમેશ ગઢવી પાસેથી પોતે પ્લોટ ભાડે લીધો હતો અને 2 વર્ષમાં ખરીદી લેવાનું શરત રાખી હતી.ત્યારે આ શખ્સોએ ખરીદવા સમયે માર્કેટ કરતા 5 લાખ વધારે લેશે તેવું કહ્યું હતું. જે બાદ હતભાગી વેપારીએ ફેક્ટરી બનાવવાનું શરુ કર્યું અને કોરોના આવી ગયો હતો.જેના કારણે કામ બંધ રહ્યો હતો પણ ભાડુ વસુલી લેવામાં આવ્યું હતું.પ્લોટમાં ફેક્ટરી ઉભી થઇ જતા બન્ને શખ્સ આવ્યા અને પ્લોટ ખાલી કરવાનું કહ્યું હતું.બે વર્ષ સુધી ભાડુ વસુલ્યા બાદ પ્લોટ ખાલી કરાવવા દબાણ કર્યો અને મારામારી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ કરી હતી.જે બાદ આ શખ્સોએ મારા દીકરા અને મારી સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ પણ કરી હતી. મને આ લોકોના કારણે કરોડોનું નુકસાન થયું છે.જેથી જિંદગીથી કંટાળી આપઘાત કરવા જાઉં છુ.મહેરબાની કરી મને અને મારા પરિવારને ન્યાય અપાવજો.
હવે ‘હદ’ પૂરી થઇ:પાક.માછીમારો જખૌથી વાયા પોરબંદર થઇને ના.સરોવર પહોંચશે !
કોસ્ટગાર્ડ દ્વારા 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારી પકડવામાં આવ્યા હતા, 14 ડિસેમ્બરે તેમના વિરુદ્ધ ભારતીય જળસીમામાં ઘૂસણખોરીનો ગુન્હો નોંધાયો છે. સૌથી પહેલા તેમને જખૌ, બાદમાં પોરબંદર લઇ જવામાં આવ્યા હતા અને હવે અંતે નારાયણસરોવર પોલીસ મથકે લાવવામાં આવી રહ્યા છે. બાદમાં ભુજ જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પકડાયેલ પાકિસ્તાની મુદ્દે C-437 ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડિંગ ઓફિસર અંબરીશ શુક્લાએ નારાયણસરોવર પોલીસ મથકે પકડાયેલા પાકિસ્તાનીઓ સફી મોહમ્મદ, હુસૈન, ઝાહિર, ગુલામ મુસ્તાઝ, સરુર બિર બહાર, મેતાબલી , ઇબ્રાહિમ, હબીબ બીલા, સુલતાન અહમદ, સુમા અને સરફરાઝ રહે. તમામ પાકિસ્તાન વિરુદ્ધ ગેરયકાયદેસર રીતે ભારતીય સીમમાં ઘૂસણખોરી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોડી રાત્રી સુધી પોલીસ મથકે સુપરત ન કરાયા હોવાનું નારાયણ સરોવર પોલીસે જણાવ્યું હતું. પકડાયેલા પાકિસ્તાનીઓ સફી મોહમ્મદ, હુસૈન, ઝાહિર, ગુલામ મુસ્તાઝ, સરુર બિર બહાર, મેતાબલી , ઇબ્રાહિમ, હબીબ બીલા, સુલતાન અહમદ, સુમા અને સરફરાઝ રહે. તમામ પાકિસ્તાન વિરુદ્ધ ગેરયકાયદેસર રીતે ભારતીય સીમમાં ઘૂસણખોરી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોડી રાત્રી સુધી પોલીસ મથકે સુપરત ન કરાયા હોવાનું નારાયણ સરોવર પોલીસે જણાવ્યું હતું. જખૌથી નારાયણસરોવર પહોંચવા વાયા પોરબંદર કેમ જવું પડ્યું ?10 ડિસેમ્બરે પકડાયેલા પાકિસ્તાનીઓ 12 ડિસેમ્બરના કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધા. પણ અહીં શરુ થયો મૂળ પ્રશ્ન, કે આ અધિકારક્ષેત્ર કોનું?. કારણ કે, ટેરિટોરિયલ વોટર્સ અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન વચ્ચેનો તફાવત 1982 ના યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ ધ લો ઓફ ધ સી (UNCLOS) દ્વારા નક્કી કરાય છે. જે અનુસાર દરિયાકિનારા પર બેઝલાઇનના 12 નોટિકલ માઇલની અંદર દેશના ટેરિટોરિયલ વોટર્સને સંપૂર્ણ સાર્વભૌમત્વ છે, તો EEZ આર્થિક અધિકારો સાથે 200 નોટિકલ માઇલ સુધી ફેલાયેલો છે. આ કિસ્સામાં ભારત પાસે બે મુખ્ય કાયદા લાગુ પડે છે. ભારતના દરિયાઈ ક્ષેત્રો અધિનિયમ, 1981, જે ટેરિટોરિયલ વોટર્સ, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને અન્ય દરિયાઈ ક્ષેત્ર અધિનિયમ, 1976 સાથે વાંચવામાં આવે છે. દરિયામાં પકડાયેલા કોઈપણ વ્યક્તિ માટે અંતિમ અધિકારક્ષેત્ર કોસ્ટલ સિક્યુરિટી વિંગ હેઠળ આવે છે. શરૂઆતમાં કચ્છના જખૌથી ‘’50 નોટિકલ માઇલ’’ દૂર હોવાનું નોંધાયું હતું, જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન થયું, જો અહીં કંઈપણ થાય તો પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનને FIR દાખલ કરવાનો અધિકારક્ષેત્ર છે. મૂંઝવણ ત્યાં થઇ કે, સમુદ્રમાં ચોક્કસ સ્થાન જખૌથી 50 નોટિકલ માઈલ દૂર હોવા છતાં, તે ભારત સરકાર દ્વારા સૂચિત બેઝલાઇનથી માત્ર 1.5 નોટિકલ માઈલ દૂર હતું, જેનું અધિકારક્ષેત્ર પશ્ચિમ કચ્છ પોલીસ પાસે છે. જો કે, ગુજરાત પોલીસે આ નક્કી કર્યું ત્યાં સુધીમાં, કોસ્ટગાર્ડે એ પાકિસ્તાની નાગરિકોને પોરબંદર પોલીસને સોંપી દીધા હતા, જેથી યુટર્ન મારવાનો વારો આવ્યો અને જખૌથી નારાયણસરોવર સુધી 84 કિલોમીટર કાપતા અઠવાડિયું લાગી ગયું અંતે નારાયણસરોવર પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ મેળવનારી ભુજની દીકરી યોગી રૂપાબેન રાહુલભાઈ જોષીએ એમ.એસ.સી. ગણિત વિષય સાથે પૂર્ણ કર્યું છે અને તેને ગણિત વિષયમાં સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. યોગી જોષીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યા મુજબ હું મારા અભ્યાસના માધ્યમથી સમાજમાંથી અજ્ઞાન, અભાવ અને અંધકાર દૂર કરવા પ્રતિબદ્ધ બનીશ. આ ઉપરાંત તેણે તેને મળેલા પાંચ ગોલ્ડ મેડલ મા ભારતીની રક્ષા કરતા સૈનિકોને સમર્પિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગી રાહુલભાઈ જોષીએ એમ.એસ.સી.ના ચોથા સેમિસ્ટર દરમિયાન જ CSIR-NET (Phd), JAM, GATE અને GSETની પરીક્ષા પાસ કરી ચૂકી છે. આ ઉપરાંત તેને પી.એચ.ડી.નો અભ્યાસ કરવો છે, તે માટે તેણે ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાતે પીએચડીની પ્રવેશ પરીક્ષા પણ આપી છે અને સાથે આઈઆઈટી મદ્રાસમાંથી ડેટા સાયન્સ એન્ડ પ્રોગ્રામિંગનો પણ અભ્યાસ કરે છે. આ ઉપરાંત તેણીએ ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈ ખાતે રિસર્ચ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે. યોગી જોષી મા આશાપુરા શાળા અને માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કચ્છનો ડંકો વગાડ્યો છે.
કચ્છના યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે નવી પહેલના ભાગરૂપે માંડવીના કોડાયપુલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભારત સરકાર દ્વારા પસંદગી પામેલ પ્રથમ અને એકમાત્ર ડ્રોન એરો-વિઝન લેબનો આરંભ કરાયો છે. ચાર થી 6 મહિનાના કોર્ષમાં વિદ્યાર્થીઓને રહેવા, અભ્યાસ સહિતની તમામ તાલીમ આપવામાં આવશે જે નિઃશુલ્ક રહેશે. આ 3 મહિનાનો કોર્ષ સંપૂર્ણ નિઃશુલ્ક છે જેમાં કૌશલ્ય તાલીમ, રહેણાંક ફરજિયાત, ભોજન, યુનિફોર્મ,તાલીમ સામગ્રી બધું જ નિઃશુલ્ક આપવામાં આવશે.આ કોર્ષમાં પ્રવેશ શરૂ થયા છે, પરંતુ બેઠકો મર્યાદિત હોવાથી પાત્ર યુવાઓને તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરાયો છે. કચ્છના યુવાઓ માટે આવી સર્વસુવિધાયુક્ત, સરકાર માન્ય અને રોજગારલક્ષી યોજના એક અનોખી તક સાબિત થવાની છે.આ પહેલને કૃષ્ણજીવન સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. સમગ્ર કાર્યક્રમની શરૂઆત શિક્ષણવિદ અને એસજીજે ગ્રૂપના ડિરેક્ટર બિનુ પિલ્લાઈ દ્વારા કરવામાં આવી છે. તેમની દ્રષ્ટિ છે કે, કચ્છના ગ્રામીણ યુવાઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને આત્મનિર્ભર બનાવવામાં આવે. આ પહેલ DDU-GKY, એસજીજે ગ્રૂપ અને AVPL ઇન્ટરનેશનલના સહયોગથી અમલમાં મુકાઈ છે.રસ ધરાવતા યુવાનો વધુ માહિતી માટે 90999 87846 પર સંપર્ક કરી શકે છે.આ યોજના જિલ્લાના યુવાનો માટે રોજગાર, ટેકનોલોજી અને આત્મનિર્ભરતાનું નવો અધ્યાય શરૂ કરશે. સંપૂર્ણ નિઃશુલ્ક, રહેણાંક સાથેની આ તાલીમ યોજના કચ્છ માટે એક માઇલસ્ટોન પ્રોજેક્ટ સાબિત થશે. જાણો કોર્સની સંપૂર્ણ વિગતો બે અદ્યતન ટેકનિકલ કોર્ષ ચલાવવામાં આવશે 1 બેટરી સિસ્ટમ રીપેર ટેકનિશિયન 2 ડ્રોન સર્વિસ ટેકનિશિયન સ્માર્ટ ક્લાસરૂમ સહિતની વિશેષતા
મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં 29 મહાનગરોની તા. 15મી જાન્યુ.એ ચૂંટણી
છેલ્લે 2017માં મતદાન થયું હતું, અઢી વર્ષનાં વહીવટદાર શાસનનો અંત 16મીએ મતગણતરીઃ સાડા 3 કરોડથી વધુ મતદારો - ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે છેલ્લી લાઈફલાઈન 74 હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી મુંબઈ મહાપાલિકાના જંગ પર સમગ્ર દેશની નજર રહેશે મુંબઈ - મુંબઈ સહિત ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીની આખરે આજે જાહેરાત કરાઈ હતી. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તા. ૧૫મી જાન્યુઆરીએ મતદાન થશે જ્યારે તા.
ન્યૂ યર પાર્ટીઓ પહેલાં 1.82 કરોડનો વિદેશી દારુ જપ્ત
મુંબઇ - મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગ દ્વારા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન નવી મુંબઇમાં રૃા.૧૮૨ કરોડથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૃ જપ્ત કરવામાં આવ્યો હતો. થાણ ે સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેટ એક્સાઇઝ પ્રવીણ તાંબેએ જણાવ્યુ ંહતું કે નવી મુંબઇના મહાપેથી થાણે રોડ પર ૧૫ ડિસેમ્બરમાં સોશિયલ પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે માહિતીના આધારે એક વાહનને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. આ વાહનમાંથી ગોવામાં બનેલા વિદેશી દારૃના ૧,૫૫૦ બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
બ્રીજને નુકસાન પહોંચતા લેવાયો નિર્ણય:કણખોઇ માર્ગે બ્રીજ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ જાહેર
ભચાઉ તાલુકાના કણખોઇથી કુડા માર્ગે આવેલા કેનાલ બ્રિજમાં નુકસાની થતાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેની વિકલ્પમાં વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની જાહેરાત પણ કરવામાં આવી છે. રાપર તરફ જતા આ માર્ગે બ્રિજ પરથી નાના-મોટા વાહનો તથા હેવી ઓવર લોડેડ ડમ્પર વગેરે પસાર થાય છે. જેના લીધે બ્રિજના સ્લેબ તથા બંને એકસાન્સન જોઇન્ટમાં નુક્સાન થયું છે. ભવિષ્યમાં કોઇ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેર કરાયું છે. તા.10/3/26 સુધીના સમયગાળા માટે કણખોઇથી કુડા તરફ જતા રસ્તા( એકલ માતા મંદિરથી ભરૂડીયા યામ તરફનો રસ્તો) વચ્ચે કચ્છ શાખા નહેરના બ્રિજ પરથી કોઇ પણ વાહનો અવર-જવર કરી શકશે નહી. વૈકલ્પિક માર્ગ તરીકે શાખા નહેર પર આવેલ બ્રિજની સાંકળ 155.933 કિ.મી તથા બ્રિજની સાંકળ 158.104 કિ.મી પરથી વાહનો અવર-જવર કરી શકશે. નોંધનીય છે કે કચ્છમાં અનેક માર્ગો પર ભારેથી અતિભારે વાહનો તેમજ કેટલાક ઓવરલોડ વાહનો દોડતા હોવાથી માર્ગોને વ્યાપકપણે નુકસાન પહોંચે છે.
મુખ્ય માર્ગો પર ફરી પીજીવીસીએલની રેલી:વીજળીની સલામતી અને ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવાઇ
ભુજ વર્તુળ કચેરી દ્વારા ઊર્જા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વીજળીના વપરાશમાં સલામતી અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તપન એન. વોરાના માર્ગદર્શન હેઠળ સવારે શરૂ થયેલી રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેમાં વીજ કંપનીના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન સામાન્ય જનતામાં વીજળીની સલામતી, ઊર્જા સંરક્ષણ અને “ઊર્જા સપ્તાહ”ની સંપૂર્ણ માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને ઊર્જા બચાવવા માટેનો મહત્વપૂર્ણ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. રેલીનો મુખ્ય હેતુ વીજ અકસ્માતો ટાળવા માટેની સાવચેતીઓનો હતો. રેલી સાથે ઊર્જા સપ્તાહનું સમાપન થયું હતું.
મ્યુલ બેંક ખાતાઓ પર કાર્યવાહી:ભુજ,ભુજોડી અને નખત્રાણાની બેંકમાં સાયબર ફ્રોડના 13 લાખ ઠાલવાયા
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિઓના રૂપિયા મામલે સમન્વય પોર્ટલને આધારે મ્યુલ બેંક ખાતાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે સાયબર ફ્રોડના રૂપિયા 13 લાખ ભુજ,ભુજોડી અને નખત્રાણાની બેંકમાં જમા કરાવી ઉપાડી લેવા મામલે ત્રણ ગુનો નોધાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર અશોકભાઈ પ્રજાપતિએ માધાપર પોલીસ મથકે ભુજના આરોપી કમલેશકુમાર ઉદેસિંહ ડાભી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. બનાવ 27 માર્ચથી 9 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.જેમાં આરોપીએ ભુજોડી વર્ધમાનનગર સોપિંગ સેન્ટર ખાતે આવેલ એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા 9.90 લાખ મેળવી લીધા બાદ ઓનલાઈન એનઈએફટી થી પોતાના ખાતામાં નાંખી ગુનો આચર્યો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ દિનેશ માંગાભાઈ ચૌધરીએ નખત્રાણા પોલીસ મથકે આરોપી ઇન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામી અને દીક્ષિત ઉર્ફે ખન્ના વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.આરોપી ઇન્દ્રગીરીએ કમીશન માટે પોતાના બેંક ખાતામાં ઠગાઈના રૂપિયા 2.76 લાખ મેળવી લીધા બાદ ઉપાડી લીધા હતા.આ ઉપરાંત ભુજના સંજોગનગરમાં રહેતા સલીમ મોહમ્મદ હુશેન ચૌહાણે એ ડીવીઝન પોલીસ મથકે આરોપી મોહમ્મદ મણીયાર સામે ગુનો નોધાવ્યો છે. આરોપીએ પોતાના ખાતાની લીમીટ પુરી થઇ ગઈ હોવાનું કહી ફરિયાદીના ખાતામાં ઠગાઈના રૂપિયા 48 હજાર નંખાવી ઉપાડી લીધા હતા.સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિષય: મુન્દ્રા-ભુજ રૂટ પર અનિયમિત એસ.ટી. બસ અને વિદ્યાર્થીઓની કફોડી હાલત અંગે જાહેર આવેદન પ્રતિ, હર્ષ સંઘવી, (ઉપ મુખ્યમંત્રી તેમજ ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી, ગુજરાત રાજ્ય) મંત્રીજી, આપને આ પત્રરૂપી સમાચાર દ્વારા કચ્છના વિદ્યાર્થીઓની એક ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરવા માંગીએ છીએ. મુન્દ્રા વિસ્તારમાંથી રોજિંદા 180 થી 200 જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનો ભુજ અપડાઉન કરે છે. છતાં, એસ.ટી. વિભાગની ઘોર બેદરકારી જુઓ કે નિયમિત બસની કોઈ સુવિધા નથી. જ્યારે રજૂઆત થાય ત્યારે માત્ર બે-ત્રણ દિવસ બસ દોડાવવામાં આવે છે અને પછી કોઈ કારણ વિના બંધ કરી દેવાય છે. સાહેબ, બસમાં એટલી ભીડ હોય છે કે દરવાજો બંધ કરવા માટે પણ વિદ્યાર્થીઓને ધક્કા મારવા પડે છે. શું આ છે આપણી પરિવહન વ્યવસ્થા ? હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સોમવારે કંટાળેલા વિદ્યાર્થીઓએ કચ્છ યુનિવર્સિટી સામે શાંતિપૂર્ણ વિરોધ કર્યો અને બસ રોકી. તો બસના કંડકટરે વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવી લીધી ! શું હક માંગતા વિદ્યાર્થીઓ ગુનેગાર છે ? વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે કંડકટરે દાદાગીરી કરી હતી. NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાની આગેવાનીમાં જ્યારે વિરોધ થયો, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી અને બસ રવાના કરી દીધી. શું લોકશાહીમાં અવાજ ઉઠાવવો ગુનો છે? ઋષિરાજસિંહે જ્યારે ડેપો મેનેજરનો ટેલિફોનિક સંપર્ક કરાયો ત્યારે જવાબ મળ્યો “હું નવો છું, મને હજુ બે દિવસ થયા છે, મને ખબર નથી.” સાહેબ, અધિકારીઓ બદલાય છે પણ વિદ્યાર્થીઓની સમસ્યા કેમ નથી બદલાતી ? જોકે, સંઘર્ષ બાદ હવે બસ શરૂ કરવાની ખાતરી અપાઈ છે, પણ જો બે દિવસમાં ઉકેલ નહીં આવે તો ડેપો મેનેજરની કચેરીએ ધરણા કરવાની વિદ્યાર્થીઓને ફરજ પડશે એટલું કહી દઇએ છીએ. આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાબતે અંગત રસ લઈ ભુજ ડેપોને કડક સૂચના આપો. કચ્છ યુનિવર્સિટી પ્રશાસન કેમ મૌન?એક તરફ વિદ્યાર્થીઓ રસ્તા પર રઝળે છે, બીજી તરફ તેમનું વાલીપણું ધરાવતી કચ્છ યુનિવર્સિટીનું પ્રશાસન ચૂપ છે. યુનિવર્સિટીએ ખરેખર તો સામે ચાલીને એસ.ટી. વિભાગને પત્ર લખીને બસો વધારવાની માંગ કરવી જોઈએ. ‘બે દિવસનું અલ્ટીમેટમ’વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે. જો આગામી 48 કલાકમાં મુન્દ્રા રૂટ પર વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અને રેગ્યુલર બસ શરૂ કરવામાં નહીં આવે, તો ડેપો મેનેજરની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે અને ઓફિસની અંદર જ ધરણા યોજવામાં આવશે. ‘બેટી બચાવો’ ના સૂત્ર સામે સવાલસરકાર દીકરીઓને ભણાવવાની વાતો કરે છે, પણ ભુજમાં સ્થિતિ જુદી છે. બસમાં એટલી ભીડ હોય છે કે દીકરીઓને ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. ધક્કામુક્કી અને ભારે તકલીફના કારણે ઘણી વિદ્યાર્થિનીઓને બસમાં અસહજ સ્થિતિનો સામનો કરવો પડે છે. - કચ્છના પીડિત વિદ્યાર્થીઓનો અવાજ નોંધ : વારંવાર આ પ્રકારના સમાચારોથી સરકારે કોઇ પગલાં ન લેતા હોવાથી હવે આવી રીતે વિદ્યાર્થીઓ વતી આવેદનપત્રરૂપે સમાચાર રજુ કરાયા છે.
વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ દ્વારા ગુજરાતમાં 30 સ્થળોએ એકાઉન્ટિંગ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરાઈ છે.જેમાં કચ્છના મુખ્ય મથક ભુજનો પણ સમાવેશ થયો છે. અમદાવાદ સીએ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આ મ્યુઝિયમ ભુજ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર, ભરૂચ, નવસારી સહિતના શહેરોમાં નિર્માણ પામશે. કચ્છ જિલ્લામાં અભ્યાસ કરતા શાળા અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં એકાઉન્ટિંગ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ના વ્યવસાય પ્રત્યે રુચિ વધે તે હેતુથી આ મ્યુઝિયમ સ્થાપવાનું આયોજન છે. ખાસ કરીને કોમર્સ કોલેજોમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને સીએ અને એકાઉન્ટિંગના કોર્સ વિશે પૂરતી માહિતી મળતી નથી. આ મ્યુઝિયમ વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ માર્ગદર્શન આપશે અને સીએની કારકિર્દી પસંદ કરવા પ્રેરણા આપશે.એકાઉન્ટિંગ મ્યુઝિયમમાં 8 હજાર વર્ષથી વધુ સમયગાળાનો હિસાબ-કિતાબનો ઇતિહાસ રજૂ કરવામાં આવશે. નિયોલિથિક યુગથી લઈને આધુનિક યુગ સુધી એકાઉન્ટિંગ કેવી રીતે વિકસ્યું તેની ઝાંખી મળશે. પ્રાચીન સમયમાં ધાન અને મજૂરીના માપ માટે વપરાતા માટીના ટોકન, મેસોપોટેમિયાના વેતન નોંધતા ટેબલેટ્સ, રોમન બ્રોન્સ, ગ્રીક ટેક્સ રસીદો જેવા દુર્લભ પુરાવાઓ પણ સમાવાશે. મ્યુઝિયમમાં ભારતના એકાઉન્ટિંગ ક્ષેત્રના મહત્વના દસ્તાવેજોનું પ્રદર્શન કરાશે. ઇન્ડિયન એકાઉન્ટન્સી બોર્ડની પ્રથમ બેઠકના દસ્તાવેજો, ICICIના પ્રથમ મેમ્બરશીપ સર્ટિફિકેટ સહિતના ઐતિહાસિક રેકોર્ડ્સ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણ રહેશે. ભારતીય એકાઉન્ટિંગ વ્યવસાયની મજબૂત પરંપરાનો પરિચય મળશે.ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ દ્વારા શરૂ કરાયેલો આ ઉપક્રમ મહત્વનો સાબિત થશે. મ્યુઝિયમ કચ્છના વિદ્યાર્થીઓમાં ગણિત અને કોમર્સ પ્રત્યે રસ વધારશે અને વધુ સીએ તૈયાર થાય તે દિશામાં માઈલસ્ટોન સાબિત થશે. ચાર ભાગમાં વિભાજિત મ્યુઝિયમ
ભુજ નગરપાલિકામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં ત્રિકોણ બાગ, સ્ટેશન રોડ, મહાદેવ નાકા, સહયોગ હોલ, આર.ટી.ઓ. સર્કલ, ઓપન એર થિયટર, રેલવે સ્ટેશન સહિત 7 સ્થળોએ 175 લાખના ખર્ચે એરપોર્ટમાં હોય એવા સેન્સરવાળા અત્યાધુનિક પે એન્ડ યૂઝ શાૈચાલય બનાવવાનો ઠરાવ થયો છે. જે સાથે શહેરમાં કુલ 31 સ્થળોએ નવા અને મરંમત સહિતના 31 સ્થળોએ શાૈચાલયનું કામ કરવામાં આવશે. એવું કારોબારી સમિતિના ચેરમેન મહીદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિટી સેનિટેશન એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સામે, લાલ ટેકરી, વૈદ્યનાથ શેરીની બાજુમાં, ભીલવાસ પાસે, સોનીવાડ, વાણિયાવાડ ડેલા પાસે, જૂની શાકમાર્કેટ પાસે, ઈન્દિરાબાઈ પાર્ક પાસે અપગ્રેડેશન અને રિનોવેશન કરવામાં આવશે. મંગલમ ચાર રસ્તા, ભીડ બજાર, ખેંગાર બાગ, જયનગર પાસે, કોડકી ચોકડી, શાક માર્કેટ, વંદે માતરમ પાર્કની બાજુમાં, જથ્થાબંધ માર્કેટ પાસે, ખેંગાર બાગની અંદર, મદનસિંહ પાર્ક પાસે પણ બનાવવામાં આવશે. એ ઉપરાંત ટાઉન હોલના સફાઈ કામ માટે વેક્યુમ ક્લિનટર ખરીદવા નિર્ણય લેવાયો હતો. ખુલ્લા બોર વેલ સીલ કરવા 2 લાખ ખર્ચાશેભુજ શહેરમાં અને ભુજ શહેરને પાણી પૂરું પાડવા બોરવેલ બનાવાયા હતા. જે ક્યાંક હજુય ખુલ્લા પડ્યા છે અને જોખમી બન્યા છે, જેથી સીલ કરવા માટે 2 લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચાશે. ગોકુલધામમાં વીજ જોડાણ સાથે 20 પોલગોકુલધામ સોસાયટીના લોકોની માંગણીને ધ્યાને લઈને 20 પોલ ઊભા કરવામાં આવશે. જેના ઉપર અલગ અલગ એંગલથી 20 લાઈટ લગાડવામાં આવશે. જે માટે નવું વીજ જોડાણ પણ લેવામાં આવશે.
પતંગના દોરાના લીધે અકસ્માત:સરદાર એસ્ટેટ પાસે પતંગના દોરાથી પ્રૌઢના ગળામાં ઇજા
મંજૂસર ખાતે રહેતા પ્રૌઢ પોતાની પૌત્રીને મળવા બાઈક લઈને દંતેશ્વર ગયા હતા, જ્યાંથી બાપોદ ખાતે આવી રહ્યી હતા ત્યારે સરદાર એસ્ટેટ નજીક પતંગનો દોરો આવી જતાં તેઓના ગળામાં ઇજા પહોંચી હતી. તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ગળામાં 5 ટાંકા આવ્યા હતા. તેઓને સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી હતી. મંજૂસરના કુનયાડ ગામમાં રહેતા 58 વર્ષીય હરિક્રિષ્ણાભાઈ પરમાર રવિવાર હોવાથી બાઈક લઈને દંતેશ્વર તેમની દીકરાને ઘરે ગયા હતા. પૌત્રીને પણ રજા હોવાથી તેઓ તેને મળીને બાપોદ ખાતે દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સરદાર એસ્ટેટ પાસે અચાનક પતંગનો દોરો આવી જતાં તેમને ગળા ભાગે ઈજા થઈ હતી. ઘટના બનતાં તેમની દીકરીનું ઘર નજીક હોવાથી જમાઈને જાણ કરીને તેઓ સયાજી હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓને ગળાના ભાગે 5 ટાંકા આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી હતી.ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો હોવાથી જોહેર માર્ગો પર પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થવાના બનાવો બનતા હોય છે.
તાજેતરમાં લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે. જો કે તેની સામે કિંજલે FB પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, શું બે-ચાર અસામાજિક તત્વો લાઈફ પાર્ટનર નક્કી કરશે? આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને તેના પર ડિબેટ્સ થવા લાગી છે. કિંજલે સમાજ સામે બાંયો ચઢાવીને એક બાદ એક સવાલોનો વરસાદ કરી દીધો છે. તેણે કહ્યું કે, દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટા પ્રથાની પીડિત છું. જેને પગલે અનેક જાણીતા ચહેરા સોશિયલ મીડિયા પર કિંજલની વાતને સપોર્ટમાં ઉતરી આવ્યા છે. આ પણ વાંચો: દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટા પ્રથાની પીડિત છું; કિંજલ દવેનો સો.મીડિયા પર બળાપો આ સમગ્ર વિવાદ મામલે દિવ્ય ભાસ્કરે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષી સાથે વાત કરતી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કિંજલબેન દવેની માનસિકતા હલકી છે. સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરશો નહીં. સગાઈ કરતા પહેલાં પરિવારને પણ જાણ કરી નહોતી. યુવક-યુવતી દ્વારા જીવન સાથી પસંદગીના અધિકાર અને આંતરજ્ઞાતિય લગ્ન કરવા બાબતે જનક જોષીએ જણાવ્યું કે, બીજા સમાજમાં લગ્ન કરવા એ ગુનો નથી પરંતુ દરેક સમાજનું એક બંધારણ હોય છે. આ ફક્ત બ્રહ્મ સમાજ માટેનું બંધારણ નથી. પાટીદાર સમાજ, ઠાકોર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજમાં દરેક સમાજનું એક બંધારણ હોય છે. આ વિવાદમાં કિંજલબેનને એકલાંને અમે ટાર્ગેટ કે વિરોધ કરીને નથી કર્યું. સમાજમાં નાના નાના માણસોને આ નિયમ લાગુ પડતા હોય છે. પરંતુ કિંજલ દવે એક સેલિબ્રિટી છે એટલે આ મુદ્દો ચર્ચામાં છે. સમાજમાં પ્રવર્તતી સાટા પ્રથા અંગે કહ્યું કે, સાટા પ્રથા એક સામાજિક બંધારણ છે. એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી. કેમકે અમારા સમાજમાં સાટા પ્રથાથી પણ સગાઈ થાય છે અને સાટા પ્રથા વગર પણ સગાઈ થાય છે. 'કિંજલબેન સમાજને નીચો દેખાડવાની કોશિશ ન કરશો'કિંજલ દવેએ કરેલી દીકરીઓની પાંખો કાપવાની વાત પર કહે છે કે, જો સમાજે એમની પાંખો કાપવાની વાત કરી હોત તો કિંજલબેન આટલા ઊંચે સુધી કેવી રીતે પહોંચી શક્યા હોત. કિંજલબેનને અમારી એટલી જ વિનંતી છે કે સમાજને નીચો દેખાડવાની કોશિશ ન કરશો. તમારા સમાજે તમારી પાંખોને બાંધી છે. છેલ્લા છ સાત વર્ષથી તેઓ સિંગિંગના ફિલ્ડમાં છે છતાં સમાજે ક્યારેય પણ એમના વિરોધમાં જઈને કોઈપણ જાતનું પોસ્ટ કે કંઈ જ કર્યું નથી. કિંજલબેન સમાજનું ગૌરવ હતા. આ પણ વાંચો: ગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી:લાંબા સમયનાં ડેટિંગ એક્ટર-બિઝનેસમેન સાથે વીડિયો FB પર પોસ્ટ કર્યો 'સમાજે એમનો બહિષ્કાર કર્યો છે કોઈ એક વ્યક્તિએ નથી કર્યો'કિંજલ દ્વારા સમાજના આગેવાનોને અસમાજિક તત્ત્વોના શબ્દ પ્રયોગ પર કહ્યું કે,સમાજના જ લોકોને કિંજલબેન અસામાજિક તત્વો કહેતા હોય તો તે તેમના સંસ્કાર છે અને એમના સંસ્કાર એમને મુબારક છે. સમાજે કિંજલબેન કે એમના પિતા કે એમના પરિવાર અંગે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. સમાજે એમનો બહિષ્કાર કર્યો છે કોઈ એક વ્યક્તિએ નથી કર્યો અને કિંજલબેનને ટાર્ગેટ કરીને આ બહિષ્કાર કરવામાં નથી આવ્યો. કિંજલબેન માટે કોઈ નવો કાયદો લાગુ કરવામાં નથી આવ્યો. કિંજલબેન પાંચ પરગણા બ્રહ્મ સમાજમાંથી આવે છે તો આ નિયમ કિંજલબેનને પણ લાગુ પડવો જોઈએ. 'કિંજલબેનના પૈસાથી સમાજ તોલવામાં નથી આવતો'કિંજલના આવા અસમાજિક તત્ત્વોને કોઈ 5000ના પગારે પણ કામે રાખે તેમ નથી તે નિવેદન પર કહ્યું કે, સમાજના અમુક લોકોને પગાર ના પણ મળતો હોય. કિંજલબેનના પપ્પા જ્યારે હીરા ઘસતા ત્યારે તેમની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે કેવી છે. સમય ગમે ત્યારે ગમે એનો બદલાઈ શકે છે એટલે કિંજલબેનને આવું ન કહેવું જોઈએ. કિંજલબેનના પૈસાથી સમાજ તોલવામાં નથી આવતો. 'પરમ પૂજ્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુએ બંધારણ બનાવ્યું છે'સમાજ દ્વારા લાઇફ પાર્ટનર નક્કી કરવા અંગે કહ્યું કે, સમાજ લાઈફ પાર્ટનર નક્કી ન કરી શકે. અમારા પરમ પૂજ્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુએ બંધારણ બનાવ્યું છે અને એ બંધારણનો નિયમ છે કે, પર સમાજમાં લગ્ન કરવા એ અમારા માટે ગુનો છે. આપણે અન્ય સમાજની દીકરી લાવવી નહીં અને અન્ય સમાજમાં દીકરી આપવી નહીં. સમાજ ઠેકેદાર નથી પરંતુ તેઓ બ્રહ્મ સમાજ લખાવે છે તો શા માટે લખાવે છે? સમાજ ભગવાન બરાબર કહેવાય છે તો સમાજના નિયમો એમણે માનવા જોઈએ. 'કિંજલબેન અત્યારે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે'સમાજમાંથી બહિષ્કાર કરવાથી સામેની વ્યક્તિ પર શું અસર થાય? જેના જવાબમાં કહે છે કે, પરીવારનો જ્યારે બહિષ્કાર કરવામાં આવે ત્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ મરણ પ્રસંગમાં સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે. કોઈ સારા ભલા પ્રસંગમાં તેઓને નિમંત્રણ આપવામાં આવતું નથી. કિંજલબેન અત્યારે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. તમે કદાચ પોસ્ટર વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે કે આ બહિષ્કાર ફક્ત કિંજલબેન માટે નથી. એમના પિતા લલિતભાઈ દવે અને પ્રહલાદભાઈ વશરામભાઈ જોષીને પણ લાગુ પડ્યો છે. સમાજ બહારના વ્યક્તિ સાથે સોંગ કે ફિલ્મ કરે તો તેને સમાજ બહાર કાઢી શકાય કે નહીં? જેના જવાબમાં કહે છે કે, ભારતીય બંધારણ એવું કહેવા માંગે છે કે 18 વર્ષની દીકરી જાતે પોતાના નિર્ણય લઈ શકે છે. અને જો ફિલ્મ કે ગીત ગાવાથી વાંધો હોય તો અત્યાર સુધી કિંજલબેને જ્યારથી ગાવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી બ્રહ્મ સમાજે એમના વિરોધમાં કોઈપણ જાતની ટિપ્પણી કરી નથી. 'કોઈ એક વ્યક્તિ દ્વારા કિંજલબેનને ટાર્ગેટ કર્યા નથી'આ નિર્ણય પર સમાજમાંથી મળેલા સમર્થન અંગે કહ્યું કે, શિહોરી ખાતે 2000 લોકોની મિટિંગ મળી હતી. એ મિટિંગમાં સમાજના યુવાનો વડીલો અને આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે. કોઈ એક વ્યક્તિ દ્વારા કિંજલબેનને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા. સમાજના દરેક વ્યક્તિને લાગુ પડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 'પર સમાજમાં લગ્ન કરવા એ અમારા સમાજ માટે ગુનો છે'સમાજમાંથી બહાર કાઢવા પાછળનો ઉદ્દેશ્ અંગે પાંચ પરગણા સમાજના ઉપપ્રમુખ કહે છે કે, પર સમાજમાં લગ્ન કરવા એ અમારા સમાજ માટે ગુનો છે. કિંજલબેનના પરિવારને કોઈ પણ જાતની ધાક ધમકી એમના પરિવારનું કાળું મોઢું કરવું એવી કોઈપણ પ્રકારની સમાજની ભાવના નથી. પરંતુ એમણે પર સમાજની અંદર લગ્ન કરવાનું નિર્ણય લીધો હોવાથી સમાજે તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે. 'સમાજમાં લગ્ન કરવાથી છૂટાછેડાના બનાવો વધુ બનતા હોય છે, તેમાં સમાજ મદદ કરે છે'કોઈ બ્રહ્મ સમાજના ખરાબ વ્યક્તિ જોડે લગ્ન કરે તો વાંધો નથી પણ અન્ય સમાજના વેલસેટ યુવક જોડે લગ્ન કરે તો વાંધો છે? જેના જવાબમાં કહ્યું સમાજમાં દીકરીના લગ્ન થાય તો પાછળ જતા જો દીકરીને દુઃખ આવે તો સમાજ તેની પડખે ઉભો રહે છે. પરંતુ સમાજમાં લગ્ન કરવાથી છૂટાછેડાના બનાવો વધુ બનતા હોય છે. જેથી સમાજની અંદર જ લગ્ન કરવાથી સમાજના લોકો દ્વારા તેમનું સુખદ નિવેડો લાવવામાં આવતો હોય છે. 'આગામી સમયમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળે તો એમને મુબારક'ભવિષ્યમાં કિંજલ દવેને કોઈ મોટો એવોર્ડ, પદ્મ શ્રી વગેરે કંઈ મળશે તો સમાજ તેને પોતાનું ગૌરવ લેશે કે નહીં? આ અંગે કહ્યું કે, પદ્મશ્રી એવોર્ડ મળે તો કિંજલબેનને મુબારક. જો એમને સમાજની ચિંતા હોય તો પર સમાજની અંદર લગ્ન ન કરવા જોઈએ. એમની હલકી માનસિકતાથી તેઓ સમાજના લોકોને અસામાજિક તત્વો કહી રહ્યા છે. કોર્ટ અને જેલમાં કોઈ ગુનો કરીને જતા લોકો હોય એમને અસામાજિક તત્વો કહેવાય. લોકોના ઘર બાળ્યા હોય કે તોડ્યા હોય પછી જાહેર જગ્યાએ તોડફોડ કરી હોય તેવા લોકોને અસામાજિક તત્વો કહેવાય. કિંજલબેન પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. આગામી સમયમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળે તો એમને મુબારક. આ પણ વાંચો: કિંજલ દવેની સગાઈના INSIDE PICS:બે દિવસ ચાલી એંગેજમેન્ટ સેરેમની, આમિર મીરની મહેફિલે જમાવટ કરી દીધી 'કિંજલબેન અને પવનની સગાઈ કરી અને તોડી એ અંગે અમને ખબર નથી'કિંજલ દવેના ભાઈ આકાશના લગ્ન તૂટવા અંગે કહ્યું કે, જ્યારે લગ્ન તૂટ્યા હતા ત્યારે એમણે સમાજને જાણ કરી ન હતી. આ વિશે અમને કંઈ જાણ નથી. કિંજલબેન અને પવનની સગાઈ સાટા પ્રથામાં કરી અને તોડી એ વિશે કોઈ જાણ કરી ન હતી. 'ધ્રુવિન સાથે સગાઈ કરી ત્યારે પરિવારે પણ બહિષ્કાર કર્યો હતો'કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી ત્યારે સમાજનું કે તમારું મંતવ્ય લીધું હતું કે કેમ? આ અંગે કહ્યું કે, સમાજના લોકોને જાણ કરવામાં આવી ન હતી મને ખબર છે ત્યાં સુધી એમના પરિવારમાં જાણ કરી હતી ત્યારે એમના પરિવારે પણ એનો બહિષ્કાર કર્યો હતો. પરિવારે પણ એવું જ જણાવ્યું હતું કે અમે સમાજની અંદર મોઢું બતાવવા લાયક નહીં રહીએ એટલે પરિવારે પણ એ જ સમયે બહિષ્કાર કર્યો હતો. કિંજલ દવેની સગાઈમાં લલિતભાઈના પિતા કે અન્ય કોઈ પરિવારજન ગયું નથી. પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ક્યાં ક્યા વસે છે અને વસ્તી કેટલી? પાંચ પર ગણા બ્રહ્મ સમાજના 100થી વધુ ગામડા હશે. દિયોદર અને કાંકરેજ એમ બન્નેમાં તાલુકા દીઠ 12000થી 14000 વસતિ છે. જ્યારે પાટણ તાલુકામાં 18000 અને વાવ થરાદ તાલુકામાં લગભગ એક લાખ આસપાસ વસ્તી હશે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી. ધ્રુવીન શાહ એક્ટર અને બિઝનેસમેન કિંજલ દવેના ભાવિ જીવનસાથી ધ્રુવીન શાહની વાત કરીએ તો, તે માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ એક અભિનેતા પણ છે. ધ્રુવીન શાહ અગાઉ પણ કિંજલ દવે સાથે કેટલાક પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો હતો. આ જોડીને સગાઈના બંધનમાં બંધાતી જોઈને તેમના લાખો ચાહકોએ શુભકામનાઓ પાઠવી છે. આ સગાઈ ગુજરાતના મનોરંજનજગત માટે એક મોટો પ્રસંગ બની રહી છે અને ચાહકો હવે આ લોકપ્રિય જોડીનાં લગ્ન ક્યારે થશે એની રાહ જોઈ રહ્યા છે. કિંજલના પિતા હીરાઘસુ હતાકિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.
નવા બનેલા થરાદ જિલ્લામાં કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની 6 ડિસેમ્બરે સભા હતી. સભામાં એક GRD (ગ્રામ રક્ષક દળ) મહિલા જવાને જાહેરમાં ફરિયાદ કરી કે, તેમના ગાંઠના ઓપરેશન માટે પોતે પાટણની એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે તેમની અને તેમના પરિવારની જાણ બહાર તેમના ગર્ભાશયની કોથળી કાઢી નાખી. બાદમાં મહિલા વર્દીમાં કેનાલમાં આપઘાત કરવા જતા સ્થાનિક ગામના લોકોએ તેમને બચાવ્યાં. GRD મહિલા જવાને વધુમાં કહ્યું કે, આવનારા દિવસોમાં પોલીસ દ્વારા આ ડોક્ટર સામે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો મારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે. આ નિવેદન બાદ જીગ્નેશ મેવાણીએ પણ એક વીડિયો પોસ્ટ કર્યો અને પોલીસ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા સાથે જ કડક કાર્યવાહીની માંગ કરી. એક GRD મહિલા જવાનને આ રીતે આપઘાત કરવા માટે કેમ મજબૂર થવું પડ્યું? તેની હકીકત જાણવા ભાસ્કરની ટીમે આ મામલે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. જેમાં અમે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવતા થરા ગામમાં રહેતા GRD મહિલા જવાનને મળ્યા અને પાટણની જે આધાર હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા છે તે હોસ્પિટલના ડોક્ટરની પણ પાટણ જઈને મુલાકાત લીધી. ભાસ્કરે આ મામલે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.... GRD મહિલા જવાનના આક્ષેપ બાદ MLA મેવાણીએ મુદ્દો ઉઠાવી લીઓ અને પાટણના SPને ફોન કરીને કાર્યવાહી કરવાની માંગ કરી. જેમાં પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી. જેમાં ધીમે ધીમે પોલીસની સામે પણ હકીકત સામે આવવા લાગી. ભાસ્કરની ટીમ સૌથી પહેલા તે પીડિત GRD મહિલા જવાન તેજલબા વાઘેલાના ઘરે પહોંચી. 30 વર્ષીય GRD મહિલા જવાને ભાસ્કરની ટીમને જણાવ્યું કે, હું તો કુંવારી છું અને પાટણ પાસે આવેલા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામમાં મારી વૃદ્ધ માતા સાથે ભાડાંના મકાનમાં રહું છું. જેનું ત્રણ હજાર ભાડું છે. ત્રણેક વર્ષથી GRD મહિલા જવાન તરીકે થરા પોલીસમાં ફરજ બજાવું છું. જેનો મહિને 8 હજાર જેટલો પગાર મળે છે. તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે જ્યારે તેમના બે ભાઈઓ પત્ની અને બાળકો સાથે અલગ રહે છે. GRD મહિલા જવાન તેજલબા વાઘેલાને ગાંઠના ઓપરેશન બાબતે પૂછતાં તેમણે વિસ્તારથી શરુઆતથી લઈને અત્યાર સુધીનો સમગ્ર ઘટનાક્રમ કહ્યો. તેમણે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે મને પેટમાં દુખાવાની સમસ્યા અને કેટલીક મહિલાઓને થતી માસિકની સમસ્યા પહેલાથી જ છે. 26 ઓક્ટોબર 2025 ના રાત્રે 3:00 વાગ્યે અચાનક મને પેટમાં દુખાવો ઉપડ્યો. હું ને મારા ભાભી તાત્કાલિક ગામની એક ગાડી કરીને પાટણના એક ડાયગ્નોસ્ટિક સેન્ટર જવા નીકળ્યા. અહીં એડમિટ થયા બાદ સવારે બધા ડોક્ટર આવે છે અને તેમની તપાસ કરીને અલગ અલગ રિપોર્ટ કરાવે છે. આ દરમિયાન મને ચક્કર ચાલુ રહેતા હતા. છાતીમાં દુખાવો સતત ચાલુ રહેતો હતો અને પેટમાં પણ દુખતું હતું. બપોરના 12 વાગ્યા સુધી હું સેન્ટરમાં દાખલ રહી અને પ્રાથમિક સારવાર લીધી. બાદમાં અમે એક સંબંધીની સલાહથી પાટણમાં જ આવેલી આધાર હોસ્પિટલના ડો.કલ્પેશ વાઢેર પાસે ગયા જે MD ગાયનેક છે. તેજલબાએ આગળની વાત કરી. તેમણે કહ્યું કે, 26 ઓક્ટોબરે બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે તેજલબા આધાર હોસ્પિટલમાં પહોંચ્યા. અહીં ગયા પછી તેમનો સોનોગ્રાફી રિપોર્ટ કરવામાં આવ્યો. જેમાં ખબર પડી કે ગર્ભાશયમાં જ એક સાધારણ ગાંઠ છે. ડોક્ટરે કહ્યું કે, આ એક સાધારણ ગાંઠ છે તેને દૂરબીન વડે ખેંચી લઈશું. જેમાં કોઈ ટાંકા જેવું ઓપરેશન નહીં કરવું પડે. ઓપરેશન નહીં કરવું પડે તેની ખાતરી આપતાં તેઓ મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. જ્યાં મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું. ઇન્જેક્શન આપ્યા બાદ હું બેભાન થઈ ગઈ હતી અને મારી બેભાન અવસ્થામાં સમગ્ર ઓપરેશન કરી દેવાયું. પછી રાત્રે 8 વાગ્યે હું થોડી ભાનમાં આવી તો જોયું તો પગમાં બોટલ ચડતી હતી. બાદમાં રાત્રે 9- 10 વાગ્યાની વચ્ચે મને બરાબર ભાન આવ્યું. જ્યારે બરાબર ભાન આવ્યું ત્યારે પેટ પર હાથ મુક્યો તો જોયું તો પટ્ટી મારેલી હતી. મેં હોસ્પિટલના સ્ટાફને પૂછ્યું તો તેમણે કહ્યું કે પટ્ટી તો મારવી પડે. પછી મને પેટમાં બળતરા થવા લાગ્યા અને હું બૂમો પડવા લાગી. હું હોસ્પિટલના સ્ટાફને રજૂઆત કરું તો તેઓ જવાબ આપતા કે ઓપરેશન કરી દીધું છે એટલે થોડો દુખાવો તો રહેશે. જે દવા આપી છે તે દવા ચાલુ રાખો મટી જશે. તે આખી રાત મેં રડતાં રડતાં વિતાવી. પછી બીજા દિવસે 27 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે મને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. બાદમાં ત્રણ-ચાર દિવસ પછી અમે તે હોસ્પિટલે ડ્રેસીંગ કરાવવા ગયા. ડ્રેસિંગ કરાવવા ગયા ત્યારે ડોક્ટરે અમારી પાસે બાકી રહેલા દસ હજાર માંગ્યા તે સમયે મારી પાસે હતા નહીં. પરંતુ બહારથી લાવીને અમે આપી દીધા. ત્યારે તેમણે કહ્યું કે, આવતા અઠવાડિયે ટાંકા તોડવા આવજો અને આવો ત્યારે 25 હજાર લેતા આવજો. આવતા અઠવાડિયા સુધી અમારી પાસે 25 હજાર રૂપિયાની સગવડ થઈ નહીં. અમે 10 હજાર ભેગા કર્યા અને અમે ટાંકા તોડાવવા ગયા તો તેમણે ટાંકા તોડવાની ના પાડી દીધી. અને કહ્યું કે પૂરા 25 હજાર લઈને આવો તો જ ટાંકા તોડી આપીશું. તેમણે આવું કહેતા અમે તાત્કાલિક બીજા 15 હજારની વ્યવસ્થા કરી પછી તેમણે અમારા ટાંકા તોડ્યા. આ ટાંકા તોડ્યા ત્યારે મને ખબર પડી કે મારા પેટમાં 16 ટાંકા લીધા છે. છતાં અમે કંઈ ઝઘડો કર્યો નહીં. ડોક્ટરને કંઈ કહ્યું નહીં. અમને એવું કે ઓપરેશન કર્યું છે એટલે ટાંકા લીધા હશે આવું સમજીને અમે ચૂપ રહ્યા. તેજલબા વાઘેલાએ પહેલા જણાવ્યું તે મુજબ તેમને પહેલાથી જ પેટમાં દુખાવો રહેતો હતો એટલે તે તેમના થરા ગામના જ એક સ્થાનિક હોસ્પિટલમાં રેગ્યુલર બાટલા ચડાવવા જતા હતા. તે સમય દરમિયાન તેમને પેટમાં બળતરા પણ થતી અને થોડું દુખતું પણ હતું. ગાંઠનું ઓપરેશન કર્યા બાદ તેમને સમય પર માસિક ન આવતાં તેઓ અન્ય હોસ્પિટલમાં ગયા જ્યાં સોનોગ્રાફી કરતા તેમને ખબર પડી કે તેમની ગર્ભાશયની કોથળી કાઢી દીધી છે. આવું સાંભળતાં જ હું તરત જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી મને જેવી ખબર પડી કે મારી ગર્ભાશયની કોથળી નથી રહી એટલે મેં તરત જ તે ભાઈને ફોન કર્યો કે જેમના થકી હું પાટણની આધાર હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં મારું ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. આ ભાઈ સાથે વાત કરતાં તેમણે મને કહ્યું કે તકલીફ રહી હશે એટલે ગર્ભાશયની કોથળી કાઢી હશે. એ ભાઈએ આધાર હોસ્પિટલના તે ડોક્ટર કલ્પેશ વાઢેર સાથે વાત કરી. તો ડોક્ટરે કહ્યું કે તે બહેનને ખાનગીમાં બોલાવો આપણે વાતચીત કરીને મામલો પતાવી દઈએ. બહેનને કહેજો કે આ વાત કોઈને કહે નહીં. હું મળવા ન ગઈ તો મને ધમકી પણ આપી કે બહેનને કહેજો કે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરે, મને કોઈ પહોંચી નહીં વળે. ત્યારબાદ 17 નવેમ્બર 2025 ના રોજ પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં ડોક્ટર વિરુદ્ધમાં અરજી કરી તે છતાંય આ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી ન કરાઈ. બાદમાં મેં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સભામાં મારી વ્યથા ઠાલવી. મીડિયામાં આ સમાચાર વહેતા થયા ત્યારબાદ પોલીસ જાગી અને મારું નિવેદન નોંધ્યું પરંતુ હજી સુધી તે ડોક્ટરની ધરપકડ નથી કરી. તેજલબા વાઘેલાએ કરેલા ગંભીર આરોપો બાદ, ભાસ્કરની ટીમ પાટણના તે આધાર હોસ્પિટલમાં પહોંચી. આ હોસ્પિટલમાં ડો.કલ્પેશ વાઢેર સાથે મુલાકાત કરી. જેમણે આ ઓપરેશન કર્યું હતું. આ ડોક્ટર સાથે મુલાકાત દરમિયાન તેમની પાસેથી અમને ચોંકાવનારી વિગતો જાણવા મળી. ડો.કલ્પેશ વાઢેરે જણાવ્યું કે, હું અને મારાં પત્ની ડો. અંકિતા વાઢેર છેલ્લા 8 વર્ષથી ગાયનેક ડોક્ટરીની પ્રેક્ટિસ કરીએ છીએ. ત્રણેક વર્ષથી પાટણ શહેરમાં આધાર વુમન્સ હોસ્પિટલ ચલાવીએ છીએ. આજ સુધી અમારા પર કોઈપણ દર્દીએ આક્ષેપ કર્યા હોય તેવું આજ સુધી ક્યારેય બન્યું નથી. તે મહિલા અમારી પાસે આવી ત્યારે તેમણે જ અમને અમને કહ્યું હતું કે મને પહેલાથી પેટમાં દુખે છે. સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે તેમને ગાંઠ છે એટલે તેમનું ઓપરેશન કરવું પડ્યું. આ તમામ વાત તે GRD જવાન મહિલાને પહેલાથી બઘી સમજાવી દીધી હતી. તેમની સહી પણ કરાવી હતી. મહિલાએ બેભાન કરવાના જે આક્ષેપ કર્યા છે તે ઓપરેશન કરનાર ડોક્ટર ન કરી શકે એના માટે એનેસ્થેશિયાના ડોક્ટર બોલાવવા પડે. દર્દીને એનેસ્થેશિયાના ડોઝ આપતા હોય છે. એટલે બેભાન કરવાની વાતમાં કોઈ તથ્ય નથી. અને આ ગર્ભાથયની કોથળી કોઈ કીડની તો છે નહીં કે મને આનાથી કંઈ લાભ થવાનો હોય. શું તમને લાગે છે કે એક ડોક્ટર મહિલાની જાણ બહાર તેના ગર્ભાશયની કોથળી કાઢી શકે? અને માની લો કે અમે આવું કંઈ કર્યું હોય તો પીડિત વ્યક્તિ તે બહેને અમારી પાસે આવવું તો જોઈએ ને કે તમે આ મારી સાથે શું કર્યું? પરંતુ આ મહિલા જવાન બહેન ટાંકા તોડ઼ાવ્યા બાદ અમારી પાસે એકપણ વાર આવ્યા જ નથી, અમને કંઈ ફરિયાદ પણ નથી કરી. અને રુપિયા આપો તો જ ટાંકા તોડીશું આવી તો કોઈ વાત જ નથી થઈ. અમે ખોટા હોઈએ તો અહીં આવતા અન્ય દર્દીને પૂછી જુઓ. લોકો ઘણા સમયથી અમારી પાસે સારવાર કરાવવા આવે છે આજ સુધી કોઈને કોઈ તકલીફ પડી નથી. તો પછી આ બહેન કંઈ મારા દુશ્મન તો છે નહિ, તેમની સાથે હું આવું કંઈ કરું. અમારી પાસે તમામ પુરાવા છે. જે અમે પાટણ પોલીસમાં જમા કરાવી દીધા છે. અમારી સામે કરાયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા છે. આ મામલે અમે પાટણ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રભાતસિંહ સોલંકી સાથે ટેલિફોનીક વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મહિલા જવાનના આક્ષેપો ખોટા છે. GRD મહિલા જવાન છેલ્લા 6-7 વર્ષથી દવા લેતા હતા અને તેમને ગર્ભાશયની અંદર પહેલેથી જ ગાંઠ હતી. બીજું, તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GRD મહિલા કુંવારી નથી. તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના પતિનું બીમારીના કારણે અવસાન થયું હતું. તેમનું ઓપરેશન થાય એવું જ હતું. ડોક્ટરે તે મહિલાના ઓપરેશન કરતાં પહેલાં તમામ રીતે સમજાવ્યા હતા. તેમની સાથે તેમના એક ભાઈ અશ્વિનભાઈ પણ સાથે હતા. તેમને પણ સમજાવ્યા હતા. ટાંકા તોડાવવા આવ્યા ત્યારે પણ અશ્વિનભાઈ સાથે હતા. આ મામલે મહિલાના આક્ષેપ બાદ અમે બન્ને પક્ષોનું નિવેદન લીધું છે. જેમાં મહિલાએ ડોક્ટર સામે આક્ષેપો કર્યા છે અમે તે ડોક્ટરનું પણ નિવેદન લીધું છે. તેમણે અમને તેમના ઓપરેશનના તમામ પુરાવાની ફાઈલ પણ આપી છે. જેમાં ઓપરેશન કરતી વખતે મહિલા જવાનની મંજૂરી લીધી હતી તે તમામ કાગળો ડોક્ટરે અમને આપ્યા છે. આ માટે અમે સરકારી સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરના અભિપ્રાયની રાહ જોઈ રહ્યા છીએ. તેમનો અભિપ્રાય આવ્યા બાદ અમે આગળની કાર્યવાહી કરીશું. પરંતુ તેમાં વાર લાગી શકે તેમ છે કારણ કે, કમિટિ બેસે ત્યારે નિર્ણય લેવાશે. હાલ સમગ્ર કેસની તપાસ ચાલુ છે સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં માહિતી આપવામાં આવશે.
સાઇબર ઠગાઈ:એપીકે ફાઇલથી એપ ડાઉનલોડ કરાવી, 2.50 લાખની ખરીદી કરી રૂપિયા ન આપ્યા
એપીકે ફાઈલ થકી એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરાવીને ગઠિયાએ રૂા.2.50 લાખની વર્ચ્યુઅલ પ્રોડક્ટની ખરીદી કરાવીને રૂપીયા પરત ન આપતા માંજલપુર પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો છે. ગોરવા મધુનગર રોડ પર આવેલા આમીનાપાર્કમાં રહેતા 30 વર્ષિય ઈર્શાદ અહેમદ પઠાણ ફેબ્રીકેશનનું કામકાજ કરે છે. યુવક અને તેના ભાઈ સમસાદ પઠાણને આરોપીઓ એલીસ, જલ્પેશ ભટ્ટ અને જયેશ મકવાણા (બંને રહે- પંચવટી,ગોરવા)એ એલવીએમએચ એપ્લિકેશનમાં જોડાવવા માટે વોટસએપ મારફતે એપીકે ફાઈલ મોકલી હતી. જે ફાઈલ ડાઉનલોડ કરવા યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી આપ્યો હતો. આરોપીઓએ આ એપ્લિકેશન મારફતે પર્ફયુમ અને વીંટી ખરીદવા માટે જણાવ્યું હતું. આ એપ્લિકેશનમાંથી વર્ચ્યુઅલ પ્રોડક્ટ ખરીદવા માટે યુવકે પોતાના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી રૂા.97,632 નું રોકાણ કરીને વર્ચ્યુઅલ પ્રોડક્ટ ખરીદી હતી. જ્યારે એલીસે મેસેજ કરીને 45 દિવસમાં નફા સાથેની રકમ ખાતામાં જમા થઈ જશે. આ ઉપરાંત 72 થી 76 કલાકમાં રૂા.100થી વધુ નફો મળતો હોય છે તે વિડ્રો કરી શકાય છે. જોકે ફરિયાદીએ રૂપીયા વિડ્રો કરવા જતા બેંક પ્રોસેસીંગ લખાઈને આવતું હતું અને ખાતામાં રૂપીયા પરત આવતા ન હતાં. આમ આરોપીઓએ રૂા.2.50 લાખની વર્ચ્યુઅલ પ્રોડક્ટ ની ખરીદી કરાવીને રૂપીયા પરત ન આપતા ત્રણેય ગઠિયા વિરૂધ્ધ માંજલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય તપાસ હાથ ધરી છે.
શહેરના જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર જૂથ દર્શનમ ગ્રૂપ દ્વારા માંજલપુર ખાતે તૈયાર થઈ રહેલ દર્શનમ સ્પલેન્ડોરા-3ના સેમ્પલ હાઉસનું વૈષ્ણવાચાર્યા પરમ પૂજ્ય ગોસ્વામી વ્રજરાજકુમાર મહારાજના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ “લાલો’ના જાણીતા કલાકાર શ્રૃહૃદ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શનમ સ્પ્લેન્ડોરા-3, માંજલપુરના સેમ્પલ હાઉસ લોન્ચ પ્રસંગે દર્શનમ ગ્રૂપના ડિરેકટર સુમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, માંજલપુર હવેલીથી અત્યંત નજીકના સ્થળ ખાતે લક્ઝુરીયસ દર્શનમ સ્પ્લેન્ડોરા-3માં કુલ 48 વિલા, 132 ફ્લેટસ, 12 પેન્ટહાઉસ સાથે કુલ 192 પરિવાર સ્થાયી થઈ શકે તે પ્રકારનું આયોજન કરાયું છે. 4BHK અને 3BHK ફ્લેટ્સ લકઝરીયસ એમિટીઝને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. ગાર્ડન, બેન્કવેટ હોલ, થિયેટર, જેવી સુવિધાઓ અત્યાધુનિક રીતે પૂરી પાડવામાં આવી છે.
પાણીગેટ ખાતે રહેતો સાકિબ તેમના ભાઈની સાથે સાંજે 4.30 વાગ્યાના અરસામાં પાણીગેટથી નીકળ્યો હતો. આ દરમિયાન તેનો ભાઈ બાઈક ચલાવી રહ્યો હતો અને સાકિબ પાછળ બેઠો હતો. ત્યારે કીર્તિસ્તંભ પાસે તેમનું બાઈક સ્લીપ થતાં બંને રોડ પર પટકાયા હતા. જોકે બાઈક આગળ ચાલતી એસટી બસમાં ઘૂસી જતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. બસમાં સવાર બસ સવારોને અન્ય બસમાં મોકલાયા હતા. મહામહેનતે બસની નીચેથી બાઈકને કઢાયું હતું અને ટ્રાફિક પૂર્વરત કરાયો હતો.જોકે બન્ને ભાઈને કોઈ ઈજા નહોતી થઈ.
પોલીસ કાર્યવાહી:જાહેરમાં કેમિકલ વેસ્ટને ઠલવાતી શિમર કેમિકલ્સ કંપનીને જીપીસીબીએ બંધ કરાવી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અનગઢ પાસેથી જાહેરમાં હાઇવેની સાઇડમાં જોખમી કેમિકલ ઠાલવતું ટેન્કર પકડાયું હતું. આ કેમિકલ પાદરાની શિમર કેમિકલ્સમાંથી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર ડિરેક્શન અપાયા છે. નંદેસરી પોલીસે ટેન્કર ચાલક સહિત સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે દોડકાથી પાદરાના પેટ્રોલિંગ ગાડીના કર્મીએ ઓક્ટોબરમાં પોલીસ કંટ્રોલને જાણ કરી હતી કે, અનગઢ પાસે રસ્તા પર એક ટેન્કર કેમિકલ ખાલી કરી રહ્યું છે. નંદેસરી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટેન્કર દ્વારા કોઈ પ્રવાહી ઢોળવામાં આવતું હતું. પોલીસે જીપીસીબીની ટીમને બોલાવતા સેમ્પલ લેવાયા હતા. પરિક્ષણમાં તે જોખમી કેમિકલ વેસ્ટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચાલકની તપાસ કરતા તે સાગર ચમનાજી પટેલ(રહે, કલોલ, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછમાં સાગરને એક અજાણી વ્યક્તિએ પાદરા જીઆઈડીસી કેનાલ રોડ ખાતે આવેલી માધવ ટ્રેડર્સ કંપનીમાંથી કેમિકલ ભરી આપ્યું હોવાનું સામે આવ્યું હતું. ભાસ્કર એક્સપર્ટકેમિકલથી માનવ જિંદગીને જોખમ, જમીનને નુકસાન થાયકોઈ પ્રવાહી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ 100 મિલી પર લિટર હોય તો તેની પરવાનગી લઈને ચોક્કસ જગ્યાએ નાખી શકાય છે. પરંતુ અનગઢ નજીકથી પકડાયેલું કેમિકલનું સીઓડી 60,014 હતું અને તેનું પીએચ 10.5 હતું. કેમિકલમાંથી ખૂબ દુર્ગંધ મારતી હતી. તે પ્રવાહી માનવ જીંદગીને જોખમમાં મુકે તેમજ ભુગર્ભ જળ અને જમીનને નુકસાન કરે તેમ હોય છે.- માર્ગી પટેલ, રિજનલ ઓફિસર પાદરાની કંપનીને જીપીસીબી દ્વારા દંડ પણ ફટકારાશેજીપીસીબીના અધિકારીએ કહ્યું હતું કે, કેમિકલ પાદરા મુજપુરની શિમર કેમિકલ્સમાંથી નીકળ્યું હતું. કંપનીને ક્લોઝર ડિરેક્શન અપાયા છે અને કંપનીને બંધ કરી દેવાઈ છે. તેની હવે દંડ ફટકારવાની તથા બેંક ગેરેન્ટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મ.સ.યુનિવર્સિટીમાં આઇડી કાર્ડને લઇને અસમંજસ:આઇડી કાર્ડનાં નાણાં વસૂલાય છે, પણ અપાતાં નથી: એનએસયુઆઇ
મ.સ.યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને હાર્ડ કૉપીમાં આઈ.ડી. કાર્ડ આપવામાં આવતા નથી. તેમજ તેના બદલે તેઓને ડિજિટલ આઇડી કાર્ડ મેળવવા માટે જણાવવામાં આવે છે. જોકે બીજી તરફ એનએસયુઆઇના કાર્યકરોના એવા આક્ષેપ છે કે, દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી ફી તરીકે આઈ.ડી. કાર્ડના નામે નાણાં વસૂલવામાં આવે છે. યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે, આઇકાર્ડના યુનિવર્સિટી દ્વારા ફી રીસીપ્ટમાં કોઇ નાણા વસૂલવામાં આવતા નથી. તેમજ એડમિશન સાથે ઓનલાઇન એટલે કે ડિજિટલ આઇકાર્ડમાંથઈ વિદ્યાર્થીઓ પ્રિન્ટ કાઢી પોતાના આઇકાર્ડ મેળવી શકે છે.
સ્પોર્ટ્સે મને જીવનના ઘણાં સબક શીખવ્યાં છે. તેમ પારૂલ યુનિવર્સિટીમાં યોજાયેલા કોન્વોકેશનમાં ઉપસ્થિત ટેનિસ લિજેન્ડ સાનિયા મિર્ઝાએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા સમયે માર્ગદર્શન આપતા સંબોધ્યું હતું. જીવનમાં ગમે તેટલા રીજેક્શન મળે પરંતુ એક દિવસ સફળતા મળશે. વિદ્યાર્થીઓ એક પડકારજનક તબક્કામાં પ્રવેશી રહ્યાં છો. તમે જીવનમાં ગમે તેટલી નિષ્ફળતાનો સામનો કરો, ગમે તેટલાં રિજેક્શન મળે, પરંતુ યાદ રાખો કે એક દિવસ તમને સફળતા મળશે. સોમવારે 9માં દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં આ વર્ષે 104 ગોલ્ડ મેડાલિસ્ટ અને 44 સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરીને વિવિધ વિભાગના 16 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. પારૂલ યુનિ.ના ડો. દેવાંશુ પટેલે કહ્યું કે, જીવનમાં હંમેશા પોતાની સાથે વિશ્વાસ રાખો સપનાનો સાકાર કરવા શક્ય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેરી કોમ, આંત્રપ્રિન્યોર અને શાર્ક ટેંક ઇન્ડિયાના જજ વિનીતા સિંઘ, સાનિયા મિર્ઝા અને રજત શર્મા સહિત ડો.પારૂલ પટેલ, ડો.ગીતીકા પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આત્મવિશ્વાસ ખરીદી શકાતો નથી, જાતે કેળવવો પડે છે આત્મવિશ્વાસ એવી વસ્તુ છે જે આપણે બીજાઓ પાસેથી લઈ શકતા નથી, આપણે તેને ખરીદી શકતા નથી. તમારે તેને જાતે જ બનાવવી પડશે. તમે કેટલું જીત્યું છે તે આંગળીઓ પર ગણવું સહેલું છે, તમે તેને શારીરિક અને માનસિક રીતે ગણો છો, તે ખૂબ જ મુશ્કેલ છે. > એમસી મેરી કોમ, ઓલમ્પિકમાં બોક્સિંગ ચેમ્પિયન નિષ્ફળતા એ એન્ટ્રી ફી છે કે જે સફળતા માટે ચૂકવવી પડે છે ગુજરાતીઓમાં વ્યવસાય કરવાની કુદરતી ક્ષમતા છે, જેને બહાર લાવવાની અને યોગ્ય દિશામાં વિકસાવવાની જરૂર નિષ્ફળતા એ એન્ટ્રી ફી છે કે જે આપણે સફળતા માટે હંમેશા ચૂકવવી પડે છે. તે લક્ષ્ય વિશે નથી, પરંતુ તેની સફર મહત્વપૂર્ણ છે. > વિનીતા સિંઘ, આંત્રપ્રિન્યોર ગ્રામીણ મહિલાઓએ બનાવેલાં ખાદીનાં 16 હજાર સ્કાર્ફ છાત્રોએ પહેર્યાંકોન્વોકેશન માટે યુનિવર્સિટી દ્વારા ગ્રામીણ મહિલા કારીગરો સાથે મળીને ગ્રેજ્યુએટ થતાં વિદ્યાર્થીઓ માટે 16 હજારથી વધુ હેન્ડક્રાફ્ટેડ ખાદી સ્કાર્ફ તૈયાર કરવવામાં આવ્યા હતા. ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ કેમ્પેઇનને આગળ ધપાવવા માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના મધ્યમાં વાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મહિલાઓ માટેના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે. 45 વર્ષ બાદ આ મંદિરનું નવ નિર્માંણ કરાતા સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા રવિવારે સંપન્ન થઇ હતી. પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. બે દિવસનો પ્રતિષ્ઠાનો યજ્ઞ તા.13 અને 14 ડિસેમ્બર દરમિયાન કરાયો હતો. આ યજ્ઞમાં વડતાલના ભૂદેવ ધીરેન શાસ્ત્રી દ્વારા વેદ વિદોક્ત વિધિ દ્વારા પ્રાણ તત્વ પૂરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડતાલના ગાદીપતિ પૂ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા હનુમાનજી તથા ગણપતિજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ સાથે જ નવનિર્માણ મંદિર તેમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસજી દ્વારા સુંદર યજ્ઞ અને મંદિર શણગારાયું હતું. સુરતથી પૂ. પીપી સ્વામીજી તથા ખંભાતથી ધર્મનંદન સ્વામીજી તેમજ માંજલપુર વડોદરાથી શુકવલ્લભ સ્વામી-સંતો ઉપસ્થિત રહ્યા હતા. 45 વર્ષ બાદ ફરી એક વખત મહિલાઓ માટેના મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. જૂના મંદિર કરતા તેમાં નવી સુવિધાઓ સાથે કેપેસિટી પણ ડબલ કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 1 કરોડના ખર્ચે 10 હજાર સ્ક્વેર ફીટમાં આ સમગ્ર આયોજન પરિપૂર્ણ કરાઈ રહ્યું છે. સભામાં આશરે 800થી વધારે હરિભક્તોની ઉપસ્થિતિ હતી. બહેનોના મંદિરમાં સાંખ્ય યોગી રમીલાબા તેમજ ખાંધલીથી સાંખ્ય યોગી ભાવનાબેન તથા સંગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા. કઇ સુવિધા ઊભી કરાઇ એપ્રિલ 2026માં મંદિરનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઊજવાશેકોર્પોરેશન દ્વારા રસ્તો પહોળો કરતા અંદાજે 9 મીટર અંદર જગ્યા સંપાદન કરી હતી. જેથી મહિલાઓ માટેના મંદિરની દીવાલ પડી હતી. જેથી 4 વર્ષ બાદ નવું મંદિર નિર્માંણ થયું. શહેરના ગીચ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં પાર્કિંગ માટેની સમસ્યાઓ સર્જાતી હતી. આ નવી સુવિધા અને પાર્કિંગના પગલે હવે કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યા થઈ છે જેથી સ્થાનિક લોકોને પણ સુગમતા રહે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2026માં મંદિરનો સાર્ધ શતાબ્દી મહોત્સ ઉજવાશે.
મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત વડોદરામાં તમામ 19 વોર્ડને આવરી લેવાય તે મુજબ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 2 જાન્યુઆરીથી ત્રીજો ફેઝ શરૂ થવાનો છે. તાજેતરમાં 6 જેટલી શિબિરો યોજાઇ હતી. જેમાં જે યોગમાં જોડાયા તે યોગથી વિમુક્ત થાય નહીં એટલે કે પરત જાય નહીં તે રીતે સમગ્ર આયોજન થઈ રહ્યું છે. વડોદરામાં વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર ગાર્ડનમાં મેદસ્વિતા નિવારણ કેમ્પનું 10 ડિસેમ્બરે સમાપન થયું હતું. જેમાં યોગની સાથે આહાર એક્યુપ્રેશર દ્વારા કેવી રીતે મોટાપાને દૂર કરી શકાય છે તેની જાણકારી અપાઇ હતી. મુખ્ય સંચાલક તરીકે યોગ કોચ હેતલબેન દરજી તથા સહ સંચાલક તરીકે યોગ ટ્રેનર હિતાર્થીબેન દરજી તથા યોગ ટ્રેનર ગાયત્રીબેન ગાંગેરા અને કોર્ડિનેટર ઋષિકાબેન વાજાણીના માર્ગદર્શનમાં આ કેમ્પ પૂરો થયો હતો, જેમાં આશરે 150 જેટલા સાધકોએ ભાગ લીધો હતો. પાતળા લોકોમાં પણ કોલેસ્ટ્રેલ-ઓબેસિટી જોવા મળે છેયોગ કેમ્પમાં આવતા 90 ટકા લોકોમાં ઓબેસિટી જોવા મળી છે. પાતળા લોકોમાં પણ કોલેસ્ટ્રોલ અને ઓબેસિટીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. લોકો લિક્વિડ ઓછું લે છે અને સોલિડ વસ્તુઓ વધારે ગ્રહણ કરે છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે. > હેતલબેન દરજી , યોગ કોચ
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન:સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના કેમ્પમાં 53 યુનિટ રક્ત એકત્ર
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દ્વારા તા. 14 ડિસેમ્બરે નવા વર્ષનું સ્નેહમિલન, વાર્ષિક ગરબા મહોત્સવ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. 3 કલાકમાં 53 બોટલ રક્તદાન આયુષ્ય બ્લડ બેન્ક દ્વારા એકત્ર કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે ભાજપા પ્રમુખ ડો.જયપ્રકાશ સોની હાજર રહ્યા હતા. નવા વર્ષની શુભકામનાઓ માટે પ્રભુને પ્રાર્થના કરી તથા સિંગર સાગર પટેલ, સરદારધામ, વિશ્વ ઉમિયાફાઉન્ડેશન, ઉમિયાધામ ઊંઝા, ઉમિયાધામ સીદસર. ઉમિયાધામ ગાઠીલા જૂનાગઢ, ઉમિયાધામ અમરેલી તથા સમસ્ત પાટીદાર સમાજ સુરતના વડોદરા ચેપ્ટરના હોદ્દેદાર પ્રતિનિધિઓ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ દ્વારા વેગ આપવા માહિતી પૂરી પાડી હતી.
વીજકાપ:ફતેગંજ,અકોટા સહિતના સબ ડિવિઝનના 12 ફીડરમાં 21મી સુધી 4 કલાક વીજકાપ
વિશ્વામિત્રી વેસ્ટ વિભાગના ગોરવા, ગોત્રી, અકોટા, લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં સમારકામ કરાશે. 12 ફીડરમાં 15થી તા.21 ડિસેમ્બર સવારે 7થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી દરમિયાન લગભગ 28 હજાર જેટલા ગ્રાહકો વીજ પુરવઠો ન હોવાથી હેરાન થશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે, તેમ એમજીવીસીએલના આધિકારીએ જણાવ્યું હતું. એમજીવીસીએલ દ્વારા વરસાદ પહેલાં અને વરસાદ બાદ જુદા-જુદા ફીડરનું સમારકામ કરાય છે. આ ફીડરોમાં 5 મહિના પહેલાં જ મેન્ટેનન્સની કામગીરી હતી. ફરીવાર મેન્ટેન્સ કરાશે, જે દરમિયાન લગભગ 28 હજાર જેટલા ગ્રાહકોને વીજ પુરવઠો નહીં મળે. વરસાદ બાદ ઊગી જતી વિવિધ વેલ, ઝાડને કાપવા સાથે જમ્પર, આરએમયુ, ટ્રાન્સફોર્મર સહિતનું મેન્ટેનન્સ કરવામાં આવનાર છે. આ ફીડરમાં વીજકાપ રહેશે
હવામાન વિભાગની આગાહી:શહેરમાં આજે ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના
શહેરમાં ઉત્તરના ઠંડા પવનોને કારણે ઠંડીનો પારો સતત 12-13 ડિગ્રી નોંધાઈ રહ્યો છે, જે આગામી અઠવાડિયા સુધી યથાવત્ રહેશે. જ્યારે 25મી બાદ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાશે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે પણ ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં સોમવારે મહત્તમ તાપમાનનો પારો 31.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું. જ્યારે નોર્થ-ઈસ્ટની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
ખાડોદરાનું બિરૂદ પામેલા વડોદરાના રસ્તાઓની કામગીરી શરૂ ન કરાતાં લોકો પરેશાન થઇ ગયા છે. ખરાબ રસ્તાથી પરેશાન લોકોની તકલીફ દૂર કરવા 10 ઓક્ટોબરે વર્કઓર્ડર આપી દેવાયો હતો, પરંતુ 62 કરોડના 30 રોડનાં ખાતમુહૂર્ત જ ન કરાતાં કામ શરૂ થયું નથી. રસ્તાને રિ-સર્ફેસિંગ, વાઇડનિંગ, કાચા-પાકા રોડ કરવાની કામગીરી કરવાની છે. રવિવારે ફતેગંજમાં પણ રોડના કામ મુદ્દે વિવાદ થયો હતો અને લોકોએ જાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજ્યો હતો. માત્ર ફતેગંજમાંથી જ રોજ 50 હજાર વાહનો પસાર થાય છે, જ્યારે શહેરના 30 રોડ પર 3 લાખથી વધારે લોકો પસાર થાય છે, જેમને હાલાકી પડી રહી છે છતાં રોડની કામગીરી કરાઈ રહી નથી. ચોમાસા તથા 1 વર્ષથી ચાલતા ડ્રેનેજ-પાણીનાં કામોથી બિસ્માર થયેલા રોડથી લોકો ત્રાહિમામ છે. સ્થાયીએ માંજલપુર, અકોટા, રાવપુરા, શહેરી વિસ્તાર, ડભોઇ રોડ, સયાજીગંજમાં રોડનાં કામોને મંજૂરી આપ્યા બાદ રોડ પ્રોજેક્ટ, ઝોન અને વોર્ડનાં 32 કામોના વર્ક ઓર્ડર ઓક્ટોબરમાં અપાયાં છે, છતાં કામો પેન્ડિંગ છે. 2 મહિના સુધી ખાતમુહૂર્ત ન કરાતાં કામો શરૂ થયાં નથી. સ્વર્ણિમ ગુજરાતની ગ્રાન્ટમાંથી આ રસ્તા બનાવાશે, જે માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવાઈ છે. આ સંજોગોમાં સત્તાધીશોની દાનત સામે ઊભા થયા છે. 30 જેટલા રસ્તા પરથી જતા 3 લાખથી વધુ વાહન ચાલકો રોજ પરેશાની ભોગવી રહ્યા છે30 જેટલા રસ્તાની કામગીરીનો વર્ક ઓર્ડર ઓક્ટોબરની 10મી તારીખે આપી દીધો છે. જેના પરથી રોજ 3 લાખથી વધુ વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે, જે પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફતેગંજ સહિતના મુખ્ય માર્ગો પર તો 50 હજાર કરતાં વધુ વાહનોનું ભારણ છે. 30 જેટલા રસ્તાઓ બનાવવાની કામગીરીના વર્ક ઓર્ડર આપી દીધા છે. ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે. > ધાર્મિક દવે, એડી. સિટી એન્જિનિયર વહેલી તકે કામગીરી શરૂ કરાશે. રસ્તાઓનું કામ કરવામાં આવનાર છે તેનો સરવે કરીને વહેલું શરૂ થાય તેવા પ્રયાસ કરાશે. > ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ ભાસ્કર ઇનસાઇડમુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવા કામ અટકાવી રાખ્યુંઆગામી સમયમાં પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલાં મુખ્યમંત્રીના હસ્તે શહેરમાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. મુખ્યમંત્રીના હસ્તે રૂા.400 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરવાનું હોવાથી આ 30 રોડની કામગીરી પણ અટવાઇ ગઇ છે. પાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે શહેરીજનોને વિકાસનાં કામો દેખાડવા માટે વર્ક ઓર્ડર આપી દેવાયો હોવા છતાં કામગીરી કરવામાં આવી રહી નથી. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે તારીખ હજુ નક્કી થઇ શકી નથી. આ સંજોગોમાં સામાન્ય નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. પ્રજા માટે પીડારૂપ બનેલા રસ્તા 1. મધુનગરથી કરોડિયા કેનાલ બ્રિજ સુધી 2. સિદ્ધેશ્વર પેરેડાઇઝથી વાઘોડિયા રોડ 3. કમલાનગર તળાવથી દર્શનમ 4. ખોડિયારનગર ચાર રસ્તાથી નાયરા પેટ્રોલ પંપ સુધી 5. હરણી સ્કાય હાર્મોનીથી ગ્લેડ મર્ક્યૂરી સુધી 6. ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધી 7. સ્વામિનારાયણ નગરથી આયુર્વેદિક તરફ 8. ગોત્રી ઇવી ચાર્જિંગ સ્ટેશનથી ગોત્રી પાણીની ટાંકી સુધી 9. આમ્રવિલા બંગલોઝથી તરસાલી તરફનો રસ્તો 10. મકરપુરા હનુમાનજી મંદિરથી એરફોર્સ સ્ટેશન 11. સિદ્ધેશ્વર માર્ક્સથી રામદેવનગર 12. ઇવા મોલ સર્કલથી કંચન ભગત બાગ સુધી 13. સિદ્ધેશ્વર ફિલસ્ટોનથી જોડતો રોડ 14. દાંડિયાબજાર ફાયરબ્રિગેડથી માર્કેટ ચાર રસ્તા 15. પ્રથમ ઉપવનથી ભાયલી કેનાલ-બ્રિજ 16. ભાયલી ડીમાર્ટવાળો રસ્તો 17. સમા કેનાલ શ્રીજી ઓરાથી લીલેરિયા એપાર્ટમેન્ટ સુધી 18. ભાયલીથી કેનાલ તરફનો રોડ 19. દરબાર ચોકડીથી સન સિટી સર્કલ સુધીનો રસ્તો 20. છાણી રોડથી સૈનિક છાત્રાલય 21. ટીપી 48ના રિઝર્વેશન નં. 12 પ્લોટ સુધીનો નવિન રસ્તો 22. દરબાર ચોકડીથી બાહુબલી સર્કલ સુધી 23. લક્ષ્મીપુરા રોડ બંધન પાર્ટી પ્લોટની બાજુનો રસ્તો 24. ઝાયડસ કેડિલા, આરએન્ડડી સેન્ટર સુધી 25. હરિનગર બ્રિજ પાસે નંદાલય હવેલીથી સુરમંદિર ચાર રસ્તા 26. ઉંડેરા રિલાયન્સ પેટ્રોલપંપથી તળાવ 27. ગોત્રી ન્યૂ અલકાપુરી પાસેનો રોડ 28. વુડ્સ વિલાથી શાન્તમ વિલા તરફનો ટીપી રોડ 29. બાબા માર્બલથી પ્રયોશા હાઇટ સુધી 30. વિશ્વામિત્રી આરઓબીથી શ્રી રેસિડેન્સી સુધી
ડભોઇના ખેડૂત રવિવારે બપોરે પાણી પીવા જતાં નકલી 2 દાંત ગળી ગયા હતા. જેને પગલે તેઓને સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેઓને વોમિટ કરાવી દાંત બહાર કઢાયા હતા. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હાલમાં તેઓની તબિયત સ્વસ્થ છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં ઘણીવાર એવા કિસ્સા આવતા હોય છે, જે ચર્ચાનો વિષય બનતા હોય છે. થોડા સમય પહેલાં જ ગોત્રી હોસ્પિટલમાં એક વૃદ્ધને સારવાર માટે લવાયા હતા. તેઓ કેરી ખાતાં-ખાતાં ગોટલો ગળી ગયા હતા. જે બાદ ઓપરેશન કરી ગોટલો કઢાયો હતો. દરમિયાન રવિવારે સયાજી હોસ્પિટલમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો હતો, જેમાં વૃદ્ધ નકલી દાંત ગળી ગયા હતા. ડભોઈ ખાતે રહેતા 60 વર્ષીય હિરાભાઈ વણકર ખેડૂત છે. 3 વર્ષથી તેઓ આગળના 2 દાંતનું ચોકઠું પહેરતા હતા. રવિવારે બપોરે ખેતરમાં હતા ત્યારે બોટલમાંથી પાણી પીવા જતાં નકલી 2 દાંત ગળી ગયા હતા. જે બાદ તે તાત્કાલિક ઘરે ગયા હતા અને પરિવારને જણાવતાં તેઓ બાપોદથી જીજાજીને લઈને સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. તેઓને વોમિટિંગ કરાવી દાંત બહાર કઢાયા હતા. હિરાભાઈના જીજાજી કાંતિ પરમારે જણાવ્યું કે, તેઓ અવાર-નવાર ચોકઠું કાઢતા હતા, જેના કારણે ચોકઠું ઢીલું થઈ ગયું હતું. હાલમાં તેઓની તબિયત સારી છે. ભાસ્કર એક્સપર્ટનકલી દાંત હોય ત્યારે ઊંચું મોં કરી પાણી ન પીવું, દાંત બેસાડવામાં તારનો ઉપયોગ ટાળોનકલી દાંત બેસાડ્યા હોય તો સમયાંતરે ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, જેથી દાંતના ફિટિંગ અંગે જાણી શકાય. જો દાંતનું ફિટિંગ વ્યવસ્થિત ન રહ્યું હોય સમય જતાં તેને સરખું કરી શકાય. જો નકલી દાંત હોય તો ક્યારેય મોઢું ઊંચું કરી પાણી ન પીવું કે કોઈ વસ્તુ ન ખાવી. જેથી દાંત નીકળી પણ જાય તો તે આસાનીથી બહાર નીકળી જાય. સાથે આ નકલી દાંત બેસાડવાના હોય તેમાં તારનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખો. જેથી દાંત શરીરમાં જતો રહે તો અન્નનળીને નુકસાન ન થાય. - ડો.પ્રશાંત શાહ, પ્રમુખ, ડેન્ટિસ્ટ એસોસિયેશન
13 વર્ષથી 3 ફૂટની ખાટલીમાં સૂઈ રહેલા અને દિવ્યાંગતા સામે ઝઝૂમી રહેલા હર્ષના હાથની બંધ મુઠ્ઠી ન ખૂલતાં સરકારની સહાયનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. જન્મજાત 100 ટકા દિવ્યાંગતા ધરાવતો હર્ષ ગોહિલની હાથની આંગળીઓ વાંકી વળેલી છે. સરકારની સહાય મળે તે માટે પરિવાર પુત્રનું દિવ્યાંગતા સર્ટિફિકેટ માટે આધારકાર્ડ કઢાવવા જતાં ફિંગરપ્રિન્ટ ન આવી શકતાં સરકારની સહાય મળી નથી. હર્ષને સહાય આપવામાં તંત્ર દિવ્યાંગ બન્યું છે. દશરથના નવાપરામાં રહેતા પ્રવિણ ગોહિલનો પુત્ર હર્ષ ઘરની ઓરડીમાં ખાટલી પર સૂઈ રહે છે. કોઈક નવું વ્યક્તિ ઘરમાં આવે તો તરત આનંદિત થઈ ઊઠે છે. પિતા પ્રવિણભાઈને 5 વર્ષ પહેલાં પેરાલિસીસ થતાં ડ્રાઈવરની નોકરી છોડવી પડી. પત્ની ઉર્મિલાબેન જીએસએફસીના બગીચામાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. હર્ષને સરકારી સહાય મળે તે માટે પિતા દિવ્યાંગતાનું સર્ટિફિકેટ કઢાવવા એસએસજી ગયા હતા. જ્યાં જાણ થઈ કે, સર્ટિફિકેટ માટે બાળકનું આધારકાર્ડ ફરજિયાત છે. જેથી તે આધાર કેન્દ્રમાં પહોંચ્યા હતા. જોકે હર્ષની આંગળીઓની છાપ ન આવતાં સુપરવાઈઝરે આધારકાર્ડ નહીં નીકળે તેમ કહી પાછા મોકલ્યા હતા. તંત્રની દિવ્યાંગતાથી હર્ષને સહાય મળી રહી નથી. અપવાદના કેસમાં બાળકની સ્થિતિ મુજબ સુપરવાઈઝર નિર્ણય લે છેદિવ્યાંગતા ધરાવતા બાળકની ઉંમર 18 વર્ષથી નીચે હોય તો તે અપવાદ (એક્સેપ્શનલ કેસ)માં આવે છે. તેની સ્થિતિ જોવી પડે.બંને હાથની ફિંગરપ્રિન્ટ નથી આવતી, આંખ બરાબર નથી કે અન્ય સ્થિતિ હોય તો તે મુજબ આધાર કેન્દ્રના સુપરવાઈઝર નિર્ણય લે છે. આવાં બાળકોમાં માતા-પિતાનાં આધારકાર્ડ, જન્મનો દાખલો સહિત ઘણાં બધાં ડોક્યૂમેન્ટની જરૂર પડતી હોય છે. > શમિક જોષી, આસિ. મ્યુ. કમિશનર હર્ષના પિતાનો વલોપાત,મારા પુત્રની આંગળીની છાપ કોઈ લઈ આપો તો સરકાર સહાય આપેઆધાર કેન્દ્રમાં ધક્કા ખાઈને થાકેલા પ્રવિણભાઈએ દીકરાની મુઠ્ઠી પોતાના હાથમાં પકડી વેદના ઠાલવી હતી કે, કોઈ મારા દીકરાની આંગળીઓની છાપ લઈ આપો તો સરકાર સહાય આપે. જો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળે તો મારા દીકરાને સરકારમાંથી મેડિકલ સહિતની સુવિધા મળે. હવે દિવ્યાંગ બાળકનું આધારકાર્ડ હોવું ફરજિયાતઆધાર કેન્દ્રના સુપરવાઈઝરે કહ્યા મુજબ યુડીઆઇ કાર્ડના નવા ફોર્મેટ મુજબ 100 ટકા દિવ્યાંગ બાળક હોય તો આધારકાર્ડ ફરજિયાત છે. બાળકની ફિંગરપ્રિન્ટ ન લઈ શકાતી હોય તેવા કિસ્સામાં માતા-પિતાના જન્મના દાખલા, આધારકાર્ડ સહિતના ડોક્યૂમેન્ટ જોઈતાં હોય છે.
અબોલ પશુઓનો જીવ બચાવવામાં આવ્યો:ચરારી ગામ પાસેથી પિકઅપ વાહનમાં 7 પશુને ઉગાર્યા
કાંકણપુર પોલીસે બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર ગોધરા તાલુકાના ચરારી ગામ નજીક નાકાબંધી ગોઠવી બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે પોલીસની વોચ જોઈને થોડે દૂર વાહન ઉભું રાખીને નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસ ધ્વારા પિકઅપ વાહનમાં તપાસ કરતા 7 નાનીમોટી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં પશુઓ તેમજ વાહન મળીને કુલ રૂ 5.35 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ પશુઓને ગોધરાના પરવડી પાંજરાપોળ ખસેડી ફરાર થયેલા ચાલક સામે કાંકણપુર પોલીસમથકે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
છોટાઉદેપુર વનાર જામલા રોડ ઉપર તથા દડીગામ દેવહાટ ગામ તરફ ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે. જેમાં ઘણી ખાણોમાં કામ ચાલતું પણ નથી. આમાંથી કેટલી કાયદેસર અને કેટલી ગેરકાયદેસર ખોદેલી હોય તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ ખાણોમાં ફુલ પાણી ભરેલું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં જવાના રસ્તા ઉપર આ ખાણો બાજુમાં જ આવેલી છે. જ્યાં કોઈ વાડ કે બોર્ડર કરવામાં આવી નથી. જે આવતા જતા વાહન ચાલકો માટે આફત રૂપ બની શકે તો નવાઈ નહીં. છોટાઉદેપુર પંથકનો એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ જે હાલ મરણ પથારીએ પડ્યો છે. પરંતુ અગાઉના સમયમાં હાલમાં ચાલતી રેતી ખનનની જેમ બેફામ ચાલતો હતો. જેમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ પણ કરવામાં આવ્યું હોય અને લોકો કમાઈ ગયા હોય જે ખોદેલા ખાડા હાલ ઉજ્જડ અને નકામાં થઈ પડ્યા છે. પરંતુ હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં વધતો જતો ટ્રાફિક અને ચહલ પહલને કારણે આ ખોદેલા પથ્થરના ખાડા પૂરી દેવા જોઈએ. અથવા આ ખાડાની ફરતે મજબૂત બોર્ડર કરવી આવશ્યક થઈ પડી છે. હાલમાં એક તરફ ખાણ બીજી તરફ માર્ગ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં હવે વાહનોની અવરજવર વધી જવાથી માર્ગો ઉપર રાત્રિના સમયે ઘણીવાર દેખાતું નથી. તેવા સમયમાં આ ખોદેલી ખાણો રસ્તાથી બિલકુલ અડીને આવેલી હોય જે ખાણોમાં પડી જવાનો ભય રહેલો છે રસ્તાને બિલકુલ અડીને જ આવેલી છે. આ ખાણો જેનું પુરાણ કરવું કે તેના ઉપર બોર્ડર કરવી એ આવશ્યક થઈ પડે છે. ખાણને મજબૂત બોર્ડર કરાય તેવી પ્રજાની માગ છોટાઉદેપુર પંથકમાં ઘણા સમયથી અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. તેવા સમયે ટ્રાફિકની પણ સમસ્યાએ માઝા મૂકી છે. દિવસે નહીં પરંતુ રાત્રીના સમયે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ખાણો ખોદેલી છે. તેવા વિસ્તારોમાં અકસ્માતનો ભારે ભય ગ્રામીણ પ્રજાને સતાવી રહ્યો છે. જે ખાણોને મજબૂત બોર્ડર કરવામાં આવે તેમ પ્રજા ઇચ્છી રહી છે. ભાસ્કર ઇનસાઇડઉદ્યોગ બંધ થતાં હજારોકામદારો બેકાર થયાએક વખત છોટાઉદેપુરની ઓળખ મનાતો ડોલોમાઇટઉદ્યોગ જિલ્લાના હજારો લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારીઆપતો હતો. જેનાથી હિજરતીઓની સંખ્યા પણ નહિવતહતી. ડોલોમાઇટ ઉદ્યોગ મરણપથારીએ પડતાં જ હજારોકામદારોની રોજગારી છીનવાઇ હતી. જેના પગલે પેટિયુરડવા લોકને ફરજિયાત હિજરત કરવાની ફરજ પડી રહી છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:મોટાસલરામાં બાઇક ચાલકે ટક્કર મારતાં રાહદારી વૃદ્ધનું મોત
ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામના મહુડા ફળિયામાં રહેતા કાનજીભાઇ ચોખલાભાઇ પારગી શનિવારના કડીયા કામ પૂર્ણ કરી સાંજે મોટર સાયકલ લઇને ઘરે જતા હતા. તે દરમિયાન સલરા ગામે ફતેપુરા સંતરામપુર રોડ ઉપર રાહદારીને એક મોટર સાયકલ ચાલકે ટક્કર મારી મોટર સાયકલ મુકી નાસી ગયો હતો. ત્યારે કાનજીભાઇ નજીક જઇને જોતાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ તેના વૃધ્ધ મામા કોયાભાઇ વિરાભાઇ બામણીયા હતા. જેમને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્ચુલન્સ બોલાવી ફતેપુરા સરકારી દવાખાને લઇ જવાતા હાજર તબીબે ઇજાગ્રસ્ત કાનજીભાઇને મૃતઘોષિત કર્યા હતા. પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી અકસ્માત કરનાર બાઇક ચાલકની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પતો ન લાગતા કાનજીભાઇ પારગીએ અજાણ્યા બાઇક ચાલક સામે ફતેપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફેટલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતને નોતરું:ઉમરપુરના ભાથીજી મંદિરે નમેલી વીજ ડીપીથી અકસ્માતનો ભય
શહેરા તાલુકાના ઉમરપુર ગામના ભાથીજી મંદિર પાસે પાછલા કેટલાક મહિનાથી વીજ ડીપી નમી ગયેલ હો વાથી એમજીવીસીએલ કચેરી ખાતે સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.ભાથીજી મંદિર અને પ્રાથમિક શાળા પણ નજીકમાં હોવાથી નમી ગયેલ વીજ ડીપીની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે તે જરૂરી હોવા છતા વીજ કંપની દ્વારા કાઇ કામગીરી કરવામાં આવી નથી. જેથી ગામની વચ્ચે અને અવર જવરના રસ્તાને અડીને નમી ગયેલ વીજ ડીપી ગમે ત્યારે પડી જાય તો કોઈ મોટી ઘટના બની શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વિજ કંપનીને રજુઆત કરવા છતા કોઈ કામગીરી હાથ ન ધરાતાં ગ્રામજનોમાં વિજકંપની સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
મહિસાગર જિલ્લાનું આરોગ્ય તંત્ર જાણે કે વેન્ટિલેટર ઉપર જીવતું હોય તેવી સ્થિતિ છે. જિલ્લાની મુખ્ય આરોગ્ય સંસ્થા લુણાવાડામાં આવેલી જનરલ હોસ્પિટલમાં ફિઝિશિયન અને સર્જન જેવી અત્યંત મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોઇ દર્દીઓને યોગ્ય સારવારથી વંચિત રહેવું પડી રહ્યું છે. મહિસાગર જિલ્લાની રચના થયા બાદ લુણાવાડા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ તો કરવામાં આવી, પરંતુ આજે પણ જનરલ હોસ્પિટલનું પૂર્ણ મહેકમ મંજૂર ન થવું એ સરકાર અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી દર્શાવે છે. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પોતાના સ્વજનોનો જીવ બચાવવા ખાનગી હોસ્પિટલનો સહારો લેવા મજબૂર બને છે, જેમાં તેમને ભારે આર્થિક સંકટ વેઠવું પડે છે.આ તરફ, જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગની સ્થિતિ પણ એટલી જ ચિંતાજનક છે. જિલ્લાના આરોગ્યની સર્વોચ્ચ જવાબદારી ધરાવતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ની જગ્યા આજે પણ માત્ર ચાર્જ પર ચાલી રહી છે. અન્ય વહીવટી અધિકારીઓ અને મહત્વની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી હોઇ આરોગ્ય સેવાઓ પર અસર પડતા સરકાર આરોગ્ય વિભાગ અને હોસ્પીટલમાં ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છેહોસ્પીટલમાં ફીઝીશીયન અને સર્જનની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ઓર્થોપેડીક તબીબની પોસ્ટ સેશન નથી. પીડ્રીયાટ્રીશીયલ સીએમ સેતુમાં આવે નથી.ગાયનેલોજીસ્ટ પણ છે. આંખની તબિબ અઠવાડીયામાં એક વખત આવે, ગંભીર દર્દીઓને ઇમરજન્સીમાં બહારથી તબિબ બોલાવીએ છીએ: >ડૉ ભામિની પંડિત , અધિક્ષક જનરલ હોસ્પિટલ ,લુણાવાડા
માર્ગ બંધ થતાં લોકોને ભારે હાલાકી:ફતેપુરામાં સી સી રોડની કામગીરીને લઇ વાહન વ્યવહાર ખોરવાયો
ફતેપુરા તાલુકામાં કામેશ્વર મહાદેવ મંદિરથી નવાબસ સ્ટેશન થઈ તેલગોળા સુધી તેમજ બાયપાસ પર નવીન સીસી રોડ બનાવવાની કામગીરીમાં મુખ્ય માર્ગ બંધ કરી પાટવેલ રોડ પર સિંગલ પટ્ટી રસ્તાથી વાહન વ્યવહાર ચાલુ રખાતા પાટવેલ રોડ સિંગલ પટ્ટી હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. પરિણામે ફતેપુરાથી પાટવેલ બોર્ડર તેમજ ગઢરા તરફ જતી એસ.ટી. બસો સમયસર પોતાના નિયત સ્થળે પહોંચી શકતી નથી. સોમવારના રોજ દાહોદ-પાટવેલ રૂટની બસ પાટવેલ સુધી ન પહોંચતા અનેક વિદ્યાર્થીઓ બસની રાહ જોતા રહી ગયા હતા. અંતે સ્થાનિક નાગરિકે એસ.ટી. ડેપોના મેનેજરને ફોન કરી જાણ કરતાં સ્થળ પર બસ મોકલાઇ જેઅંદાજે 45 મિનિટ મોડેથી પહોંચતા વિદ્યાર્થીઓને શાળાએ મોડું પહોંચવું પડ્યું હતું. રસ્તા નિર્માણ કાર્ય વિકાસ માટે જરૂરી હોવા છતાં તાત્કાલિક વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા અને ટ્રાફિક સંચાલન કરવામાં આવે તેવી માંગ નાગરિકો દ્વારા ઉઠી રહી છે. બસ ન આવતાં ઝાલોદ ડેપો મેનેજરને જાણ કરવામાં આવી ફતેપુરામાં રસ્તાની કામગીરી ચાલી રહી છે. ડ્રાઇવરો કહે છે બસો નીકળતી નથી ટ્રાફિક થઈ જાય છે. ત્યારે આજરોજ પાટવેલ મુકામે દાહોદ પાટવેલ બસ 10:00 વાગ્યાનો સમય હોવા છતાં આવી ન હતી. આખરે ઝાલોદ ડેપો મેનેજરને ફોન કરતા આ બસ 10:45 એ આવતા વિદ્યાર્થીઓ બસમાં બેસીને ફતેપુરા અભ્યાસ અર્થે પહોંચી શક્યા હતા. રસ્તાની કામગીરીની જે પણ સમસ્યા હોય પરંતુ સમય કરતાં વહેલી કાતો નિયત સમયે બસ અમારા ગામ સુધી આવે અને વિદ્યાર્થીને લઈ જાય તેવી અમારી માંગ છે.>સુક્રમભાઇ પારગી, સ્થાનિક રહીશ
યુવાનોને પ્રોત્સાહન આપીને રમતગમતની સંસ્કૃતિને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સ્થિત આધુનિક રમત-ગમત સંકુલ ખાતે સોમવારના રોજ 'સાંસદ ખેલ સ્પર્ધા' અંત્ગત વિવિધ રમતોનો પ્રારંભ કરાયો હતો.. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિશાળ રમતોત્સવમાં દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો ઉપરાંત સંતરામપુર વિધાનસભા વિસ્તારની ટીમો મળીને કુલ 88 ટીમોએ ભાગ લીધો છે. યુવાનોએ કબડ્ડી, ખોખો અને વોલિબોલ જેવી લોકપ્રિય ટીમ ઇવેન્ટ્સમાં પોતાની શારીરિક શક્તિ, તકનીકી કૌશલ્ય અને ટીમવર્ક આધારિત વ્યૂહરચનાનું પ્રદર્શન કર્યું હતું. દોડની સ્પર્ધાઓ, જેમાં 100 મીટર અને 200 મીટરની રેસનો સમાવેશ થાય છે. આ સાથે તીરંદાજી , ગોળાફેંક અને બરછી ફેંક જેવી સ્પર્ધાઓમાં પણ 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા સહિતના અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને આગામી 25 ડિસેમ્બરના રોજ 'સુશાસન દિવસે' એક વિશેષ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.
ઝઘડિયા ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનોએ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાં આવેલ આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરી શાળાઓમાં સુવિધાઓ વધારાય તેવી માંગ સાથે પ્રાન્ત અધિકારીને આવેદન આપ્યું હતું. રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ આદીજાતિ વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલ છે.તે અંતર્ગત હાલમાં કુમાર, કન્યા તથા મિશ્ર શાળાઓ મળીને કુલ 75 જેટલી આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. આ આદર્શ નિવાસી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળીને કુલ 515 જેટલા શિક્ષકોનું મહેકમ છે.પરંતુ હાલ કોઈને કોઈ કારણોસર શિક્ષકોની ઘટ થયેલ છે. માધ્યમિક વિભાગ ધોરણ 9 અને 10 માં 367 શિક્ષકોની સામે 239 જગ્યાઓ 65% પ્રમાણે ઘટ છે અને ૨૦૦૯ થી જગ્યાઓ ખાલી છે. ઉચ્ચતર વિભાગ ધોરણ -11 અને 12 ( સાયન્સ) માં 148 શિક્ષકોની સામે 57 શિક્ષકો એટલે 38% જેટલી જગ્યા ઘટ છે. સરકારે 2019 માં 25 આદર્શ નિવાસી શાળાઓ નવી શરૂ કરી છે, જેમાં કુમાર અને કન્યા એમ મિશ્ર પ્રકારની હતી. આ 25 શાળાઓમાં આજદીન સુધી એકપણ શિક્ષકની ભરતી થઈ નથી. આદર્શ નિવાસી શાળાઓમાં સરેરાશ 50% થી વધુ શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી છે. તેમાં કાયમી ભરતી ન કરતાં વિકલ્પ રૂપે માધ્યમિક શાળાઓમાં 2016 થી પ્રવાસી શિક્ષકો તરીકે કામ કરતાં શિક્ષકોના પગારમાં એક પણ રૂપિયો વધ્યો નથી.જેથી પ્રવાસી શિક્ષકોને 10 થી 12 હજારમાં કામ કરવું પડે છે. તેના કારણે પ્રવાસી શિક્ષકો ટકી શકતાં નથી પરિણામે છાત્રોનો અભ્યાસ બગડી રહયો છે.
અંકલેશ્વરના યુવાને માર મારતાં ફરિયાદ નોંધાઇ:ભરૂચમાં દોઢ લાખની લેતીદેતીના મામલે એક વ્યક્તિ પર હુમલો
ભરૂચમાં દોઢ લાખ રૂપિયાની લેતીદેતી મામલે એક વ્યકિત પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વ્હાલુ ગામે રહેતો અઝીમ બકસ વાહનોના લે-વેચનો વ્યવસાય કરે છે. તેમનો દીકરો બિમાર હોવાથી ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યાં હતાં. તેઓ જંબુસર બાયપાસ બ્રિજ પાસે ઉભા હતાં તે સમયે અંકલેશ્વરનો મુબારક મન્સુરી કાર લઇને આવતો હતો. અઝીમે મુબારકની કાર અટકાવી હતી અને અગાઉ આપેલાં દોઢ લાખ રૂપિયા પરત માગ્યા હતાં. જો રૂપિયા પરત આપવા ન હોય તો મોપેડ અને કારની ઓરીજીનલ આરસી બુક મને આપી દે તેમ કહયું હતું. અઝીમની વાતથી ઉશ્કેરાયેલો મુબારક કારમાંથી છરો લઇને અઝીમને મારવા માટે દોડયો હતો. તેણે છરાનો ઉંધો હાથાવાળા ભાગથી તેના મોઢા પર તેમજ શરીરના અન્ય ભાગે મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ઘોઘંબા અને કાલોલ તાલુકાની 5 ગ્રામપંચાયતમાં અધુરા પુરાવાના આધારે લગ્ન નોંધણી કરી હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે લગ્ન નોંધણી રેકર્ડ ખરાઇ કરવા આગેવાનો અરજી લઈ રાણીપુરા ગ્રામ પંચાયત પહોચ્યા હતા. ગોધરાના દરૂણિયા ગામના ગ્રામજનો રાણીપુરા ગ્રામ પંચાયત ઉમટીને પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ગામજનની સંગાની દીકરીના લગ્ન નોંધણી પ્રમાણપત્ર રાણીપુરા ગ્રામ પંચાયતમાં ઇશ્યુ થયું છે. ગામમાં ભાથીજી મંદિરમાં લગ્ન થયાનું પ્રમાણપત્રમાં જણાવ્યું છે. પણ દરૂણીયાના ગ્રામજનો ગામમાં તપાસ કરતા મંદીરમાં આવુ કોઇ લગ્ન થયુ ન હોવાનું જાણવા મળ્યું હતું. અને ગ્રામજનોમાં રોષભભૂક્યો હતો. જિલ્લામાં અંતરિયાળ પંચાયતો જ એપી સેન્ટર પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીને લઇને જિલ્લો બદનામ થઇ રહ્યો છે. જાંબુઘોડાના કણજીપાણી સહીત ચાર પંચાયતમાં બોગસ લગ્ન નોંધણીના આક્ષેપ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે જિલલાના અંતરિયાળ ગામોમાં તલાટીઓ દ્વારા બોગસ લગ્ન નોંધણી કરાતી હોવાની વિગતો બહાર આવી રહી છે. ત્યારે અંતરિયાળ પંચાયતો જ એપી સેન્ટર હોવાનું મનાય છે. લગ્ન નોંધણીના પુરાવા નથીઅમારા સંગાની દિકરીની લગ્ન નોંધણી રાણીપુરા ગ્રામ પંચાયતમાં થઇ છે. જેની ખરાઇ કરવા અમે અગાઉથી રાણીપુરા તલાટીને જાણ કરીને પંચાયત પર આવ્યા હતા. પરંતુ તલાટી ગ્રામ પંચાયત પર હાજર મળ્યા નથી. જેથી અમને લગ્ન નોંધણીના આધાર પુરાવા મળ્યા નથી. અમે તાલુકાકક્ષાએ રજુઆત કરીશું . > નરેશભાઇ રાઠવા, આગેવાન, દરૂણિયા
ભરૂચ જિલ્લામાં ખાસ મતદારયાદી સુધારણા અંતર્ગત બીએલઓને મતદારના નિવાસની ત્રણ વખત મુલાકાત લીધાં બાદ પણ પરત નહિ આવેલાં ફોર્મ અંગેની માહિતિ આપવામાં આવી હતી. ખાસ મતદારયાદી સુધારણા દરમિયાન બુથ લેવલ ઓફિસરોએ મતદારોના ઘરે જઇને એમ્યુરેશન ફોર્મનું વિતરણ કર્યું હતું. જેમાંથી મતદારોના ફોર્મ મૃત્યુ થવાથી, સ્થળાંતર થવાથી, ગેરહાજર હોવાથી કે અન્ય સ્થળ પર નોંધણી જેવા કારણોસર પરત આવવાની શક્યતા નહીવત છે તે બાબતે રોલ ઓબ્ઝર્વર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મતદારયાદી સુધારણા( સર) હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 14મીના રોજ ફોર્મ સ્વીકારીને મેપિંગ કરવા સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં એટલે કે 19મીએ ડ્રાફટ મતદાર યાદી તૈયાર કરવામાં આવશે.ભારતના ચૂંટણી પંચ તરફથી ભરૂચ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે શાહમીના હુસેનની વરણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની પ્રથમ મુલાકાત દરમિયાન તેઓની અધ્યક્ષતામાં જિલ્લામાં હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઅને જિલ્લાની પાંચ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીઓ સાથે કલેકટર કચેરી, ભરૂચ ખાતે સમીક્ષા બેઠક કરી હતી. ખાસ મતદારયાદી સુધારણા અંતર્ગત બીએલઓને મતદારના નિવાસની ત્રણ વખત મુલાકાત લીધાં બાદ પણ પરત નહિ આવેલાં ફોર્મ અંગેની માહિતિ આપવામાં આવી હતી. તેમણે કોઇ પણ લાયક મતદારનો યાદીમાં સમાવેશ થવાનો બાકી ન રહી જાય તે જોવા ખાસ તાકીદ કરી હતી.
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તથા ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંદીપ સાગલેએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાંદોદ તાલુકાના વડિયા ગામે સ્થાનિક નાગરિકો સાથે ગ્રામસભાનું આયોજન કર્યું હતું. જિલ્લા કલેકટર એસ.કે.મોદી, નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડ, નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, વડિયા સરપંચ બિંદિયા વસાવા, ડેપ્યુટી સરપંચ વિરેન્દ્રસિંહ સુણવા સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામસભા બાદ જિલ્લા પ્રભારી સચિવે નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલ નંદઘર- આંગણવાડી કેન્દ્ર (વડિયા-1) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આંગણવાડીમાં હાજર બાળકોની સંખ્યા, બાળકોને આપવામાં આવતી રોજિંદી પોષણયુક્ત વાનગીઓ તેમજ બાળકોના સર્વાંગી સાર- સંભાળ અંગે માહિતી મેળવી હતી. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મોસમબેન પટેલ દ્વારા પોષણ સંગમ ટ્રેકિંગ કાર્ડના માધ્યમથી બાળકોની આરોગ્ય, પોષણ અને વિકાસ માટે રાખવામાં આવતી કાળજી અંગે જિલ્લા પ્રભારી સચિવને માહિતી આપવામાં આવી હતી.
માનવ અધિકારો વિષયક જાગરૂકતા સેમિનાર:માનવ અધિકારોના સંરક્ષણ અને જાગરૂકતા અંગે દરેકે સજાગ રહેવું
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 14 ડિસેમ્બરના રોજ માનવ અધિકારો અંગે જનજાગરૂકતા ફેલાવવાના આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોલીસ હેડક્વાર્ટર ઇન્ચાર્જ ડીવાયએસપી ડો. અનિલ સિસારા, એડવોકેટ અશ્વિની દેશમુખ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રીમિલાબેન તરફથી માનવ અધિકારો, કાનૂની જોગવાઈઓ અને સમાજમાં તેની મહત્તા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ માનવ અધિકારોના સંરક્ષણ અને તેની જાગરૂકતા અંગે માહિતી આપી દરેક નાગરિકને પોતાના અધિકારો વિશે માહિતગાર રહેવા અપીલ કરી હતી. સમગ્ર સેમિનાર અંતે ઉપસ્થિતોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા, અને કાર્યક્રમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
એકતાનગરમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યાં બાદ તેની કનેકટવીટી વધારવામાં આવી રહી છે. એકતાનગર અને અંકલેશ્વર વચ્ચે 85 કિમીનો 6 લેનનો આરસીસીનો બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવશે. સરકારની મંજૂરી મળી ગયા બાદ વહીવટીતંત્ર તરફથી હવે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇ સ્પીડ કોરીડોરના નામથી બનનારા બાયપાસ માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી જમીન સંપાદિત કરવામાં આવશે. નર્મદાના પ્રાંત અધિકારીએ રસ્તામાં કયાં ગામોની જમીન સંપાદિત કરવામાં આવશે તેની નોટિસો પણ આપી દીધી છે. જમીન સંપાદન માટેની નોટીસ મળતાની સાથે ગામડાઓમાં વિરોધ વંટોળ શરૂ થઇ ગયો છે. આમલેથા અને કુમસ ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી આ બાયપાસ રોડને રદ કરીને હાલના રસ્તાને જ આરસીસીનો બનાવવામાં આવે તેવી માગણી કરી છે. નર્મદા જિલ્લાના 35 જેટલા ગામોમાં સંપદિત માટેની 1300 થી વધુ સર્વે નંબરોની જમીન સંપાદિત કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના 20 ગામની જમીન સંપાદિત કરવામાં આવનાર છે. બંને જિલ્લાના 55 ગામના આશરે 2,300 સર્વે નંબરોની જમીન હાઇસ્પીડ કોરીડોર બાયપાસ માટે સંપાદિત કરવામાં આવશે. સ્ટેટ હાઈવેની કામગીરી અધૂરી ત્યાં નવો માર્ગ મંજૂર અંકલેશ્વર અને રાજપીપલા વચ્ચેના માર્ગને સ્ટેટ હાઇવે જાહેર કરી તેને ચાર માર્ગીય બનાવામાં આવ્યો છે. અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાં આ રસ્તાની કામગીરી અધૂરી છે તેમજ કેટલાય સ્થળોએ નવા બ્રિજ પણ બન્યા નથી.આવા સંજોગોમાં સરકાર અંકલેશ્વર અને એકતાનગરને જોડતો સરકાર નવો બાયપાસ બનાવ જય રહી હોવાથી લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. ભાસ્કર નોલેજહાઇસ્પીડ કોરીડોરબાયપાસનો પ્રોજેકટ શું છે ?કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પહેલાં અંકલેશ્વરથી રાજપીપળા સુધીના બે માર્ગીય રસ્તાને ચાર માર્ગીય કરાયો છે પણ તેની કામગીરી હજી અધૂરી છે. દક્ષિણ ગુજરાત તરફથી આવતાં પ્રવાસીઓ સરળતાથી અને ઝડપથી અવરજવર કરી શકે તે માટે 6 માર્ગીય આરસીસીનો રસ્તો બનાવવામાં આવશે. અંકલેશ્વર થી રાજપીપળા 60 કિમી અને રાજપીપળાથી કેવડીયા એકતનગર 25 કિમી આમ 85 કિમી રસ્તો બનાવવવામાં આવનાર છે. ગરીબ આદિવાસીઓનું જીવન નિર્વાહનું સાધન છીનવાશે તો આંદોલન કરીશુંઆમલેથા તેમજ કુમસ ગામ સહિત અનેક ગામો હાલમાં અસ્તિત્વ ધરાવતાં અંકલેશ્વર - રાજપીપલા સ્ટેટ હાઇવે પર આવેલ છે. આ રસ્તો અમારા ગામની વચ્ચેથી પસાર થયેલ છે. અમારા ગામો બંધારણની અનુસૂચિ-5 અને પેસા કાયદો 1996 વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. હાલ જે અંકલેશ્વર, રાજપીપલા, એક્તાનગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) જોડતા રસ્તાનું હાઇસ્પીડ કોરીડોર બનાવવા માટે જમીન સંપાદન કરવાના છે તે જમીન ગરીબ આદિવાસીઓની છે. જો આ જમીનો સંપાદિત કરી લેવામાં આવશે તો તેમનું જીવન નિર્વાહનું સાધન છીનવાઇ જશે. વર્તમાન સ્ટેટ હાઇવેના બદલે હાઇસ્પીડ કોરીડોર બનાવવામાં આવે તેવી અમારી માગણી છે. જો અમારી માગણી પૂરી નહિ થાય તો આંદોલન કરાશે. > મુકેશ વસાવા, સ્થાનિક સ્ટેટ હાઈવેની કામગીરી અધૂરી ત્યાં નવો માર્ગ મંજૂરઅંકલેશ્વર અને રાજપીપલા વચ્ચેના માર્ગને સ્ટેટ હાઇવે જાહેર કરી તેને ચાર માર્ગીયબનાવામાં આવ્યો છે.અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાં આ રસ્તાની કામગીરીઅધૂરી છે તેમજ કેટલાય સ્થળોએ નવા બ્રિજ પણ બન્યા નથી.આવા સંજોગોમાંસરકાર અંકલેશ્વર અને એકતાનગરને જોડતો સરકાર નવો બાયપાસ બનાવ જયરહી હોવાથી લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો.
વેધર રિપોર્ટ:ભરૂચમાં શીતલહેરોથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચ્યું
ભરૂચ જિલ્લાનું તાપમાન વધતાં બપોરે ગરમી અનુભવાઇ હતી. તો બીજી તરફ વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડી પડી રહી છે. આમ ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેથી સવારે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઇ હતી. આમ આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 30 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી થયું છે. જેના કારણે ભેજનું પ્રમાણ 20 થી 45 ટકા અને પવનની ગતિ 11 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. તેમજ મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી થવાની સંભાવના છે. ખેડૂતોને વાવણી કરેલ પાકની સારી વૃદ્ધિ માટે સમયસર આંતરખેડ અને નિંદામણ કરવું.
લોક અદાલત:જિલ્લામાં એક જ દિવસમાં 20,659 કોર્ટ કેસનો નિકાલ
ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં 20,659 કોર્ટ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશો, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયધિશ આર.કે.દેસાઇના હસ્તે દિપ પ્રજજ્વલીત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેંડીંગ કેસો જેમાં - મોટર અકસ્માતના કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138 ના કેસો, ફેમીલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકવામાં આવે છે. જુદા જુદા પ્રકારના 10 હજાર થી વધૂ કેસો, પ્રિલિટીગેશનના 5 હજારથી વધુ કેસો તેમજ ટ્રાફીક ચલણના 15 હજાર થી વધૂ કેસો મુકવામાં આવ્યા હતા. આ લોક અદાલતમાં કુલ20,659 કેસોનો નિકાલ થયો હતો.
શાળાઓ માટે પરિપત્ર જાહેર કરાયો:શાળાઓની બહાર વાહનો નહી મૂકાય બાળકોને કંપાઉન્ડમાં જ ઉતારવા પડશે
ભરૂચ શહેર તથા જિલ્લામાં માર્ગોને અડીને આવેલી શાળાઓની બહાર પાર્ક કરવામાં આવતાં વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારી તથા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર મુજબ શાળાઓની બહાર વાહનો પાર્ક થઇ શકશે નહિ તથા સ્કૂલવાન અને સ્કૂલ રીક્ષામાંથી બાળકોને શાળાની બહારના બદલે કંપાઉન્ડમાં ઉતારવા પડશે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલી શાળાઓની બહાર શાળા શરૂ થવાના તથા છૂટવાના સમયે સ્કૂલવાન, રીક્ષા સહિતના વાહનોનો ખડકલો થઇ જતો હોય છે. આવી સ્થિતિમાં ટ્રાફિકજામ થઇ જાય છે. આ સમસ્યાનો હલ લાવવા માટે શિક્ષણ વિભાગ તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જિલ્લાની તમામ શાળાઓમાં વાહનોના પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલે જણાવ્યું હતું કે, રોડ સેફટી સમિતિની બેઠકમાં શાળાઓની બહાર થતાં પાર્કિંગના મામલે ચર્ચા કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ભાસ્કર ફોલોઅપ:બાંગ્લાદેશના એજન્ટ સહિતના ચારઆરોપીના 23મી સુધી રીમાન્ડ મંજૂર
ભરૂચના જંબુસર બાયપાસ રોડ પરથી પોલીસે બાંગ્લાદેશી એજન્ટ સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશના એજન્ટે બાંગ્લાદેશથી 60 જેટલી યુવતીને કામ અપાવવાની લાલચે ભારતમાં બોલાવી તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. એજન્ટ સહિતના ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમના 23મી તારીખ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. ભરૂચ સ્પામાંથી 14 યુવતીઓને મુકત કરાવવામાં આવી હતી. જેમાં 12 બાંગ્લાદેશની અને 2 પશ્ચિમ બંગાળની રહેવાસી છે. જંબુસર બાયપાસ નજીક અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો ઇસમ બાંગ્લાદેશી નાગરિક છે પણ તેણે કલકત્તામાંથી જન્મનો ખોટો દાખલો તૈયાર કરાવ્યો હતો. તે છેલ્લા 10 વર્ષથી ગુજરાત સહિતના અનેક શહેરોમાં ગેરકાયદેસર રીતે રહી રહયો હતો. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ અને બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવતો હતો અને તેમને દેહવ્યાપારમાં ધકેલતો હતો. તેણે અત્યાર સુધીમાં અંદાજે 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી હતી, જેમાંથી કેટલીકને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અન્ય એજન્ટોને સોંપી દેવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ સ્પામાં દરોડાઓ પાડી 14 યુવતીઓને મુકત કરાવવામાં આવી હતી.ફારૂક શેખ સહિતના ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમના 23મી તારીખ સુધીના રીમાન્ડ મંજૂર કરાયાં છે. ભાસ્કર ઇનસાઇડડીવાયએસપીની અધ્યક્ષતામાં ટીમની રચના ભરૂચમાંથી ઝડપાયેલાં બાંગ્લાદેશી એજન્ટે ભારતમાં 60 જેટલી યુવતીઓને બોલાવી છે અને તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા સહિતના રાજયોમાં સ્પા સંચાલકોને દેહ વ્યાપાર માટે આપી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. આ યુવતીઓ ભારતમાં કેવી રીતે આવી તેની વિગતો મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે. અંકલેશ્વરના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાની આગેવાનીમાં વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
તંત્રને આવેદન:તાપીમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી સમાજની પરવાનગી અને સુરક્ષાની માગ
પ્રેમ, શાંતિ અને સૌહાર્દના તહેવાર નાતાલની ઉજવણીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લાના સમસ્ત ખ્રિસ્તી સમાજ તરફથી પોલીસ તંત્રને પરવાનગી અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા અંગે આવેદન આપ્યું છે. ખ્રિસ્તી સમાજની વિવિધ ચર્ચો અને સંસ્થાઓ દ્વારા સ્થાનિક ચર્ચોમાં પ્રાર્થના, સભાઓ તથા સમુદાયિક કાર્યક્રમો યોજાવાના હોવાથી જરૂરી પરવાનગી સાથે સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિનંતી કરાઈ છે. આવેદન મુજબ નાતાલના કાર્યક્રમો તા. 24/12/2025થી તા. 01/01/2026 દરમિયાન યોજાશે. નાતાલ ખ્રિસ્તી સમાજનો તહેવાર હોવાને કારણે પ્રાર્થના, કેરોલ ગીતો, સંગીત, નાતાલ સંદેશા તથા સમુદાયિક મેળાવડાઓ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. આ તમામ કાર્યક્રમો તમામ ધર્મ, જાતિ અને પૃષ્ઠભૂમિના લોકોને જોડીને સામાજિક સદભાવના વધારવાનો પ્રયાસ કરશે. ખ્રિસ્તી સમાજે જણાવ્યું છે કે કાર્યક્રમો દરમિયાન તમામ કાયદાકીય તથા નાગરિક નિયમોનું પાલન કરવામાં આવશે. પાર્કિંગ, કચરા વ્યવસ્થાપન, અવાજ નિયંત્રણ જેવા મુદ્દાઓ પર સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને કોઈ અસુવિધા ન થાય. જાહેર કાર્યક્રમોની સંવેદનશીલતા ધ્યાનમાં રાખી સહભાગીઓની સલામતી સુનિશ્ચિત કરવા સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોવાનું પણ જણાવાયું છે. આવેદનમાં ભારતના બંધારણ પ્રત્યે સંપૂર્ણ આદર વ્યક્ત કરતાં જણાવાયું છે કે શાંતિપૂર્ણ ભેગા થવાનો અધિકાર તથા ધર્મની સ્વતંત્રતાના અધિકાર હેઠળ આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોઈપણ પ્રકારની અશાંતિ કે મતભેદ ઊભા કરવાનો ઉદ્દેશ્ય ન હોવા સાથે સમાજમાં શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ખ્રિસ્તી સમાજે તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક તેમજ તમામ પોલીસ સ્ટેશનોને નમ્ર વિનંતી કરી છે કે નાતાલની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી પરવાનગી આપવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
તાપી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઇમ સામે તાપી જિલ્લા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી દેશભરમાં થયેલી સાયબર ઠગાઈના કરોડો રૂપિયાના નાણાં સગેવગે કરવા આપનાર દંપતીને તાપી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધું છે. આરોપીઓ દ્વારા બે અલગ અલગ બેંકોના કરંટ એકાઉન્ટ મારફતે અંદાજે 2.64 કરોડ રૂપિયાનાં શંકાસ્પદ વ્યવહારો થયાનું તપાસમાં બહાર આવ્યું છે. તાપી જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આહિરના નેતૃત્વમાં ટીમે વિસ્તૃત તપાસ કરી હતી. જેમાં I4C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મળેલી માહિતીના આધારે તપાસમાં INDIAN OVERSEAS BANK અને IDBI BANKના બે મ્યુલ બેંક એકાઉન્ટ બહાર આવ્યા. આ એકાઉન્ટમાં અલગ અલગ સમયગાળામાં કુલ મળીને અંદાજે 2.64 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 49 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ બહાર આવ્યું છે. તપાસ દરમિયાન એકાઉન્ટ ધારક તરીકે ચૌધરી હિનાબેન બલ્લુભાઇ તથા તેમના પતિ જીતુભાઇ રામજીભાઇ મુંગલપરાની સંડોવણી બહાર આવતા બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. સાયબર ફ્રોડના ચોંકાવનારા આંકડા 42 ફરિયાદ થઇ છેતાજેતરમાં સામે આવેલા આંકડાઓ મુજબ બે મોટી બેંકોમાં થયેલા સાયબર ફ્રોડના કેસોએ ચિંતાજનક સ્થિતિ દર્શાવી છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 06/12/2024 થી 18/02/2025 દરમિયાન કુલ રૂ. 65.50 લાખના સાયબર ફ્રોડ વ્યવહારો નોંધાયા છે, જેમાં કુલ 7 ફરિયાદો મળી છે. જ્યારે IDBI બેંકમાં 15/03/2025 થી 14/07/2025ના સમયગાળા દરમિયાન રૂ. 1.98 કરોડના વ્યવહારો સામે આવ્યા છે અને આ મામલે કુલ 42 ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓની ભૂમિકાઆરોપીઓએ કોઈ જાતનો ધંધો ન હોવા છતાં SHIVENTERPRISEના નામે અલગ અલગ બેંકોમાં કરંટએકાઉન્ટ ખોલ્યા હતા. આ એકાઉન્ટો પોતે ઉપયોગમાં નલઇ, 10 ટકા કમિશનના લાલચે સાયબર ઠગો તથાવોન્ટેડ આરોપીઓને ભાડે આપીને કરોડો રૂપિયાનીઠગાઈના નાણા સગેવગે કરાવવાનું કામ કરતા હોવાનુંતપાસમાં ખુલ્યું છે.
વ્યારા નગરમાં નિર્માણાધીન ભવ્ય અને દિવ્ય શિખરબદ્ધ મંદિરના કાર્ય નિમિત્તે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન વક્તા અને પ્રેરણાદાયી સંત ડૉ. સાધુ જ્ઞાનવત્સલદાસ સ્વામીજીએ મંદિરના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિર માત્ર પથ્થરની ઈમારત નથી, પરંતુ મન અને આત્માને શાંતિ આપતું તેમજ જીવન ઘડતરની પાઠશાળા સમાન કેન્દ્ર છે. કાર્યક્રમને શોભાવવા સાંકરીથી પૂ. કોઠારી પુણ્યદર્શન સ્વામી પધાર્યા હતા. જ્યારે રસોડા વ્યવસ્થામાં પૂજ્ય ભંડારી સ્વામીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજન પૂજ્ય આદર્શ સેવા સ્વામીના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું હતું. આ કાર્યક્રમ સન્મુખભાઈ પટેલના 75મા જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો, જેમાં વિશાલભાઈ પટેલે સહયોગ આપ્યો હતો.આ પ્રસંગે વ્યારા વિભાગના બાળકો અને યુવાનો દ્વારા મંદિરને વધાવતી નૃત્ય રજૂઆત કરવામાં આવી હતી. ડોલવણના ભાવેશભાઈ દ્વારા રજૂ કરાયેલા ભરતનાટ્યમ અને બીએપીએસ છાત્રાલય, અટલાદરાથી પધારેલા યુવકો દ્વારા રજૂ કરાયેલી ‘મિરેકલ ડાન્સ’ રજૂઆત દર્શકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વ્યારા, લોટરવા, ડોલવણ, બુહારી, હળદવા, બારડોલી, સોનગઢ, ઉકાઈ સહિતના વિસ્તારોમાંથી આશરે 5800 હરિભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિસ્તારોના કાર્યકરો અને હરિભક્તોએ સેવાકાર્યમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડોલવણ ક્ષેત્ર દ્વારા પાર્કિંગ વ્યવસ્થા, લોટરવા ક્ષેત્ર દ્વારા રસોડાની સેવા અને બુહારી-હળદવા ક્ષેત્ર દ્વારા સભા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. વ્યારા વિસ્તારના ભક્તો છેલ્લા એક અઠવાડિયાથી કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં સક્રિય રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામીજીએ મંદિરના સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે મંદિર બાળસંસ્કાર, સદાચાર, સત્સંગ અને નિઃસ્વાર્થ સેવાનું કેન્દ્ર બની સમાજને સાચી દિશા આપે છે. કાર્યક્રમ ભક્તિભાવ અને શાંતિપૂર્ણ સંપન્ન થયો હતો.
રાજકોટ સહિત રાજ્યભરમાં 55 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો પાત્રતા ધરાવતા ન હોવા છતાં પણ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અન્વયે કેન્દ્ર સરકારીની મફત અનાજ યોજનાનો લાભ લેતા હોવાથી ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં આવા 102224 રેશનકાર્ડ ધારકની તપાસના આદેશ કરતાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા 95 ટકાથી વધુ રેશનકાર્ડ ધારકની તપાસ પૂર્ણ કરી છે. સાથે જ શંકાસ્પદ રેશનકાર્ડ ધારકો પૈકી અનેક લોકો મોટી ખેતીની જમીન ધરાવતા હોવા છતાં મફત અનાજનો લાભ લેતા હોવાથી આવા રેશનકાર્ડ ધારકોની પીએમ કિસાન યોજનાના ડેટા સાથે મેળવણું કરી ક્રોસ તપાસ કરવામાં આવી હોવાનું જાણવામળે છે. રાજ્યમાં 3,25,06,686 રેશનકાર્ડ ધારકો અન્ન સલામતી કાયદા હેઠળ મફત અનાજનો લાભ લઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આધારકાર્ડના ડેટાના આધારે ગુજરાતમાં 55 લાખ જેટલા રેશનકાર્ડ ધારકો એનએફએસએ અંતર્ગત પાત્રતા ન ધરાવતા હોવા છતાં પણ ખોટો લાભ લઇ રહ્યા હોય આવા શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોની યાદી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને મોકલી ક્રોસ વેરિફિકેશન શરૂ કરાવ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ આવા 102224 રેશનકાર્ડ શંકાસ્પદ હોય પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં આ 1.02 લાખ રેશનકાર્ડમાં સમાવિષ્ટ કુલ 1.68 લાખ સભ્ય પૈકી 1.61 લાખ સભ્યની તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથે જ પીએમ કિસાન યોજનાનો લાભ લેતા 74 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોની પણ 93.50 ટકા તપાસ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
હેરિટેજ માટે હૈયામાં હામ:રાજકોટની ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે પોલિસી બનાવાશે
દેશના પ્રથમ અમદાવાદ શહેરનો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ કર્યા બાદ હવે અન્ય મહાનગરપાલિકાઓ પણ જાગૃત થઇ છે અને તેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ પણ ઐતિહાસિક બિલ્ડિંગોની ધરોહરને સાચવી રાખવા માટે હેરિટેજ પોલિસી બનાવવા કવાયત હાથ ધરી છે અને તેના માટે કન્સલ્ટન્સી નિમવા ટેન્ડર પ્રક્રિયા કરી છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઇટમાં હિસ્ટોરિક સિટી ઓફ અમદાવાદનો 2017માં સમાવેશ કર્યો હતો ત્યારબાદ હવે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને હેરિટેજ પોલિસી બનાવવા સૂચના આપી છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ હેરિટેજ પોલિસી બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં મહાનગરપાલિકા, કલેક્ટર તંત્ર અને ખાનગી માલિકીની અનેક હેરિટેજ મિલકતો આવેલી છે. જેમાં મહાનગરપાલિકા હસ્તકની રૈયાનાકા ટાવર, બેડીનાકા ટાવર, ગાંધી મ્યુઝિયમ અને કિશોરસિંહ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. જ્યારે કલેક્ટર તંત્ર હસ્તક જામટાવર સહિતની મિલકતો આવેલી છે. આ ઉપરાંત ખાનગી માલિકોની પણ હેરિટેજ મિલકતો આવેલી હોય તેના માટે પોલિસી બનાવવા કન્સલ્ટન્સી એજન્સી નિમવા ટેન્ડર પ્રક્રિયા કરી છે. જેમાં રાજ્ય સરકારની સૂચના મુજબ બિલ્ડિંગમાં શું શું હેરિટેજ છે, તેને કઇ રીતે ઓળખી શકાશે, તેની જાળવણી માટે આપણે શું કરી શકીએ સહિતની બાબતોનો સરવે કરાશે. ત્યારબાદ અમદાવાદની પોલિસી ધ્યાન સમક્ષ રાખી આપણને લાગુ પડતાં મુદ્દાઓને અગ્રતા આપી હેરિટેજ પોલિસી બનાવવામાં આવશે.
દેવ બિરસા સેનાની પ્રાંત અધિકારીને રજૂઆત:તાપીના આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદે ધર્માંતરણના આક્ષેપ
તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદે ખ્રિસ્તી ધર્મમાં અપનાવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે દેવ બિરસા સેના, વ્યારા દ્વારા પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવાયું છે કે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં આદિવાસી વસ્તી મોટા પ્રમાણમાં હોવા છતાં સરકારી ચોપડે એક પણ વ્યક્તિ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બન્યાની નોંધ નથી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ સેમિનાર, સભા અને મેળાના નામે બિનઅધિકૃત રીતે ધર્માંતરણના પ્રયાસો થઈ રહ્યા છે. દેવ બિરસા સેનાએ જણાવ્યું છે કે તાપી જિલ્લો અનુસૂચિત વિસ્તાર (શિડ્યુલ-5) હેઠળ આવતો હોવા છતાં અન્ય રાજ્યોમાંથી પ્રચારકો આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેની તપાસ જરૂરી છે. આ આવેદનમાં માગ કરવામાં આવી છે કે નાતાલ દરમિયાન કાર્યક્રમો માટે પરવાનગી આપતા પહેલા સંબંધિત વ્યક્તિ ખરેખર કાયદેસર રીતે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તેમજ તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવે. લોભ, લાલચ અથવા દબાણ દ્વારા ધર્માંતરણ કરવાનો પ્રયાસ ગંભીર ગુનો હોવાનું જણાવતાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ગોઝારો અકસ્માત સર્જાયો:પુરપાટ દોડતી કારે બાઇકને જોરદાર ટક્કર મારતા ફંગોળાયેલા 2 યુવક મોતને ભેટ્યા
તાપી જિલ્લામાં ફરી એક વખત બેફામ ઝડપ અને બેદરકારી ડ્રાઇવિંગના કારણે બે પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. ડોલવણના ગડત ગામ મંદિર ફળીયામાં રહેતા નિકીનભાઈ મહેન્દ્રભાઈ ચૌધરી (22) તેમના મિત્ર રાકેશભાઈ બાબલાભાઈ ગામીત (36) સાથે હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ (નં. GJ-26-AA-9161) ઉપર અંબાચ ગામે સાસરીમાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાટી ગામના ગાંધી ઓવારા બ્રિજ નજીક ઉનાઈ–વ્યારા રોડ પર ડોલવણ તરફથી પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી મારૂતિ સુઝુકી વેગેનાર કાર (નં. GJ-21-AQ-7887) એ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવાનો રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા અને લોહી લુહાણ હાલતમાં સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી બંનેને ટેમ્પોમાં વ્યારા જનરલ હોસ્પિટલના પી.એમ. રૂમમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. જીવ ગુમાવનાર નિકીનભાઇ પિતા સાથે રહી ખેતી કામ કરતા હતા. જ્યારે રાકેશભાઇ ગામીત ઘર જમાઇ તરીકે રહી ડ્રાઇવીંગનું કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે નિકીનભાઈના પિતા મહેન્દ્રભાઈ ચૌધરીએ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વેગેનાર કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી જીવલેણ અકસ્માત સર્જ્યાનો આરોપ મૂકાયો છે.
રોગચાળાનો ભય:નડિયાદમાંથી પસાર થતી મહી કેનાલમાં ગંદકી સાથે દારૂની ખાલી બોટલોની ભરમાર
નડિયાદ શહેરની જીવાદોરી સમાન મહી કેનાલ હાલમાં ગંભીર પ્રદૂષણનો ભોગ બની છે. જેમાં કેનાલના પાણીમાં કચરાના ઢગલાની ગંદકી સાથે દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જાહેર આરોગ્ય પર જોખમની આશંકા સેવાઈ રહી છે. આ સાથે વર્ષમાં એક વાર પણ કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી નથી. કેનાલમાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. મહેફિલ માણીને તત્વો દ્વારા દારૂના ખાલી બોટલો કેનાલમાં નાખી દેવામાં આવી રહી છે. જેના કારણે કેનાલમાં દારૂની મોટી સંખ્યામાં ખાલી બોટલો જોવા મળી રહી છે. કેનાલની સાફસફાઈ ને લઈ પગલાં ભરવામાં આવશે આ એક ખુલ્લી કેનાલ હોવાથી આગળથી કચરો વહીને આવતો હોય છે. જોકે, કોઈ પશુ કે પ્રાણી પડી ગયું હોય તો અમે તુરંત જ કામગીરી હાથ ધરીએ છીએ. આ સ્થળની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સફાઈની કામગીરી વહેલી તકે કરાવવા સુપરવાઇઝિંગ ઓફિસરને મોકલવામાં આવશે. - સૌમિલ પટેલ, મહી સિંચાઈ વિભાગ અધિકારી કેનાલમાંથી કચરાની સાફ સફાઈ કરવામાં આવી જોઈએ નડિયાદ શહેરમાં આવેલ કોલેજ માર્ગ પાસેની કેનાલમાં છેલ્લા ઘણ દિવસ થી આ કેનાલમાં કચરો એકત્ર થઈ ગયો છે. જેમા આ કચરના કારણે ભારે દુર્ગધ મારી રહી છે. આ વિસ્તારમાંથી વાહન લઈને પસાર થતી વખતે મોઢા પર રૂમાલ બાધીને પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે કેનાલમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે. આ સાથે કચરાના કારણે કેનાલમાં કચરાની ચાદર છવાઈ ગઈ છે. જોકે, જવાબદાર અધિકારીઓ દ્વારા કેનાલની સાફ સફાઈ કરવામાં આવે અને કેનાલમાં પડેલો તમામ કચરો કેનાલની બહાર કાઢવામાં આવે તેવી માંગ છે. - જાની સંદીપ, વાહન ચાલક સિંચાઈ વિભાગ દ્વારા સફાઈની કામગીરીમાં ઉદાસીનતા નડિયાદ શહેરના વ્યસ્ત કોલેજ રોડથી પીપલગ હાઈવે તરફ જતી અને નડિયાદની જીવાદોરી સમાન ગણાવામાં આવતી મહિ કેનાલના વહેતા પાણી પર પ્લાસ્ટિક, સડેલો કચરો સહિત ઘન કચરો જામી ગયો છે. જોકે, રાત્રિના સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ મારતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કેનાલ વિભાગ દ્વારા વર્ષમાં માત્ર એકજ વખત કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. - કૈલાશબેને , સ્થાનિક
થરાદ સ્થિત સુદંબરી આશ્રમમાં 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ–થરાદ–દિયોદર ગોળ)ની સામાન્ય સભા યોજાઈ હતી. સમાજમાં વધતા જતા ખર્ચાળ રિવાજો, તૂટતા સગપણ અને સામાજિક અશિસ્ત રોકવા માટે સુસંગઠિત સામાજિક બંધારણ ઘડીને સર્વસંમતિથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં સમાજ માટે ઘડાયેલા બંધારણ મુજબ સગપણ તૂટે તો સમાજ પંચ દ્વારા બંને પક્ષોને સાંભળી લીધા બાદ દોષિત પક્ષ પર રૂપિયા 5,00,000 દંડ ફરજિયાત રહેશે. લગ્ન થયા બાદ છૂટાછેડાની સ્થિતિ સર્જાય તો દોષિત પક્ષ પાસેથી રૂપિયા 10,00,000 દંડ વસૂલ કરવામાં આવશે. સમાજની દીકરીનું લગ્ન સમાજમાં જ કરવાનું રહેશે. દીકરીની સગાઈ 18થી 20 વર્ષની ઉંમર વચ્ચે કરવી ફરજિયાત રહેશે. સમાજની દીકરી બ્રાહ્મણ સિવાય અન્ય જાતિમાં લગ્ન કરે તો તે દીકરીના પરિવાર સાથે સમાજ દ્વારા કોઈપણ પ્રકારનો સામાજિક સંબંધ રાખવામાં નહીં આવે. દંડ ચૂકવી સમાજમાં પ્રવેશ મળી શકશે, પરંતુ જાહેર સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાની મંજૂરી નહીં મળે. લગ્ન પ્રસંગોમાં પ્રી-વેડિંગ, રિંગ સેરેમની, હળદી રસમ, કંકુ-પગલા જેવા ખર્ચાળ કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રકારના કાર્યક્રમો કરનારને રૂપિયા 1,00,000 દંડ ફરજિયાત રહેશે. રિંગ સેરેમની માટે રૂપિયા 51000, હળદી માટે રૂપિયા 51,000 અને કંકુ-પગલા માટે રૂપિયા 51,000 દંડ વસૂલાશે. સગાઈ કે લગ્ન માટે જતા સમયે 25થી વધુ માણસો નહીં અને જાનમાં 100થી વધુ માણસો નહીં જોડાશે. સારા-નરસા દરેક પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સંપૂર્ણ બંધ રહેશે. મૃત્યુ પ્રસંગે ચોથો દિવસ શક્ય હોય તો રવિવાર કે જાહેર રજાના દિવસે રાખવો અને તે દિવસે જમણવાર બંધ રહેશે. બારમાના દિવસે સગા-સંબંધીઓને ભોજન કરાવવાનું રહેશે. ભોજન પ્રસાદ ફરજિયાત નથી સમાજને મળતી દાન-ભેટની રકમ માત્ર 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પંચ ખાતામાં જ જમા કરાવવાની રહેશે. આ તમામ નિયમો સમાજના વડીલોના આશીર્વાદથી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા. સમાજની બેઠકમાં પ્રવીણભાઈ ત્રિવેદી, જયંતીલાલ ઓઝા, હસમુખલાલ ત્રિવેદી હાજર રહ્યા હતા.
સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરી દીધો છે. તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ DEOની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નયનની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવી હતી. અલગ અલગ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી હતી. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમના હિતને ધ્યાનમાં રાખીને સરકાર સ્કૂલને પોતાના હસ્તક લઈ લે તેવી તપાસ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ જ અન્ય વિદ્યાર્થીની હત્યા કરીમણિનગરમાં આવેલી ICSE બોર્ડ સંલગ્ન સેવન્થ ડે સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી હતી. સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી. જે બાદ શિક્ષણ વિભાગ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. સ્કૂલ પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં તેને તપાસ કરવામાં આવી હતી. કમિટીએ શાળાનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો હતોશિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતાના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહીં. જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકારને લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો સરકારને પણ સોંપવામાં આવ્યો હતો. શાળાએ યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરાવ્યા નહોતાતેમજ AMC ભાડા પટ્ટા કરારના શરતોનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી શાળા પાસે યોગ્ય માન્યતા ના હોવાનું સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. છતાં પણ શાળા દ્વારા યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરવામાં આવ્યા નહતા. સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયોજેથી હવે આખરે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 12 પ્રકારની ખામીઓને ધ્યાનમાં રાખીને આખરે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શાળામાં અત્યારના ભણતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓના હિતમાં શાળામાં કોઈપણ વિદ્યાર્થીને નવું એડમિશન ન આપવાની શરતે સરકાર હસ્તક લેવામાં આવી છે. શાળાઓનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ DEOને શાળાના વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમજ શિક્ષણ વિભાગ વિગતવાર સૂચનો આગામી સમય જાહેર કરશે. તપાસમાં કમિટીએ રાજ્ય સરકારને આપેલા રિપોર્ટમાં 12 પ્રકારની ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શું હતી ઘટના?અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી થઇ રહી છે. જેને લઇ એજન્સીઓએ વોચ વધારી દીધી છે. આ વોચના ભાગરૂપે જ કસ્ટમ્સના અધિકારીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ એરપોર્ટ પર કેટલાક મુસાફરોને અલગ તારવ્યાં હતા. ત્યારે જ દુબઇથી અમદાવાદ આવેલી સ્પાઇસ જેટ ફ્લાઇટ નંબર SG016 માંથી એક ભારતીય પ્રવાસી ઉતર્યો હતો. જે કસ્ટમ ક્લિયરન્સ માટે આવ્યો હતો. ત્યારે જ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો. તપાસ કરતાં તેના જીન્સના પેકેટમાંથી બે રોલેક્સ ઘડિયાળો મળી આવી હતી. જેની કિંમત 18 લાખ રૂપિયા થાય છે. અગાઉ પણ દુબઇથી આવેલી એક ફલાઇટમાંથી 13 કરોડથી વધુ કિંમતની મોંઘીદાટ ઘડિયાળ સાથે દંપતી પકડાયું હતું. દુબઇથી અમદાવાદ આવતા મુસાફરને કસ્ટમ્સ વિભાગે અટકાવ્યોપેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અમદાવાદના અધિકારીઓએ 14મી ડિસેમ્બરના રોજ સ્પાઇસજેટ ફ્લાઇટ નં. SG016 દ્વારા દુબઈથી અમદાવાદ આવતા એક ભારતીય મુસાફરને સફળતાપૂર્વક અટકાવ્યો હતો. મુસાફરની તપાસમાં તેના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી છુપાયેલી 2 રોલેક્સ ઘડિયાળો મળી આવી હતી. જ્યારે તેની ટ્રોલી બેગમાં આંતરરાષ્ટ્રીય ગેરંટી કાર્ડ અને વસ્તુઓનું સાહિત્ય ધરાવતી ઘડિયાળોના કેસ (બોક્સ) રાખવામાં આવ્યા હતા. બંને ઘડિયાળો કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ અનુસાર જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે. અગાઉ 13 કરોડની મોંઘીદાટ ઘડિયાળ સાથે દંપતી પકડાયું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે, અબુધાબીથી આવેલા દંપતી પાસેથી બ્રાન્ડેડ મોંઘીદાટ ઘડીયાળો સાથે કસ્ટમ વિભાગે કબ્જે કરી છે. આ મોંઘીદાટ ઘડિયાળની બજાર કિંમત અંદાજે રૂ. 13 કરોડથી વધારેની થવા જાય છે. હાલમાં આ દંપતી કોના માટે ઘડિયાળ લાવ્યા તેની ઝીણવટભરી તપાસ કસ્ટમ વિભાગે હાથ ધરવામાં આવી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં માગેલી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટએ તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ. કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરીસંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની PIL નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી. માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યોકોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વીડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી. યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.
'જળ એ જ જીવન છે'ના મંત્રને સાર્થક કરવા અને જળ સંચયની પ્રવૃત્તિને લોક આંદોલન બનાવવાની નેમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. તત્વચિંતક, વિશ્લેષક અને દેશના પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસના મુખેથી રેસકોર્સના કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર ખાતે જલકથા: અપને અપને શ્યામ કીનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કથા માત્ર ધાર્મિક પ્રસંગ નહીં, પરંતુ સૌરાષ્ટ્રને પાણીવંતુ બનાવવાના એક મહાયજ્ઞ સમાન બની રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ આ તકે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર માટે પાણીએ માત્ર જરૂરિયાત નથી, પણ પ્રગતિનો મુખ્ય આધાર છે. ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછતને કાયમી ધોરણે નિવારવા માટે 1,11,111 જળ સ્ટ્રક્ચરો તૈયાર કરવાનો ભગીરથ સંકલ્પ લેવામાં આવ્યો છે. માત્ર ચેકડેમ કે બોર રિચાર્જ કરવાથી જળક્રાંતિ નહીં આવે, પણ જ્યારે દરેક નાગરિકના હૃદયમાં જળ પ્રત્યે આદર જાગશે ત્યારે જ સાચું પરિવર્તન આવશે. આ જલકથાનો મુખ્ય ઉદ્દેશ્ય જન-જન સુધી જળ સંરક્ષણની ભાવના પહોંચાડવાનો છે. આ કથા માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે, જેથી આપણે આવનારી નવી પેઢીને જળમગ્ન ધરતી વારસામાં આપી શકીએ. ભવ્ય મહા જલકળશ યાત્રા અને શાસ્ત્રોક્ત પૂજનકથાના પ્રારંભ પૂર્વે 14 ડિસેમ્બર, રવિવારના રોજ રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં એક દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. બહુમાળી ભવન ચોકથી કથા સ્થળ સુધી એક ભવ્ય 'મહા જલકળશ યાત્રા' કાઢવામાં આવી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરિત વરણા ગામની બેન્ડ ટીમના સુમધુર સૂર અને ભક્તિમય માહોલમાં 700થી વધુ જલપ્રેમીઓ આ યાત્રામાં જોડાયા હતા. રાજ્યના ખૂણે ખૂણેથી લાવવામાં આવેલા 2100 જેટલા જલકળશનું કથા મંડપમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવીનો જલ લોકડાયરો અને સેવાકીય જાહેરાતરવિવારે રાત્રે કથાના પૂર્વાધમાં જ લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ 'જલ લોકડાયરા'માં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના 'બ્રાન્ડ એમ્બેસેડર' બનવાની જાહેરાત કરી હતી અને ખાતરી આપી હતી કે તે દેશ-વિદેશના પોતાના દરેક કાર્યક્રમોમાં જળસંચયનો સંદેશ ગુંજતો કરશે. દાતાઓની ઉદારતા: ચેકડેમ માટે આર્થિક સહયોગનો ધોધજળસંચયના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ બ્રિટન અને અમેરિકાથી પણ દાતાઓ ઉમટી પડ્યા હતા. ટર્બો બેરિંગવાળા પ્રતાપભાઈ પટેલ, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધનસુખભાઈ નંદાણીયા (રવિ ઓઇલ મિલ), અને પંકજભાઈ સહિતના અગ્રણીઓએ મોટી આર્થિક સહાયની જાહેરાત કરી હતી. અનેક દાતાઓએ વ્યક્તિગત રીતે એક-એક ચેકડેમ બનાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી હતી, જે સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે એક મહત્વનું કદમ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આજે સોમવાર સાંજે 7 કલાકથી ડો. કુમાર વિશ્વાસની જલકથાનો પ્રારંભ થયો છે. આ કથા આગામી 17 ડિસેમ્બર સુધી ચાલશે. કથા શ્રવણ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રાજકોટમાં પડાવ નાખી ચૂક્યા છે. ડો. કુમાર વિશ્વાસ પોતાની આગવી શૈલીમાં જળ અને જીવનના સંબંધને કૃષ્ણ ભક્તિના માધ્યમથી રજૂ કરી રહ્યા છે, જે લોકોમાં પર્યાવરણ અને જળ જાળવણી પ્રત્યે નવી ચેતના જગાડશે. સમગ્ર રાજકોટ અત્યારે જળસંચયના ઉત્સાહ અને કથાના શ્રવણમાં ભક્તિમય બન્યું છે.
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી હોટલ ગ્રાન્ડ કેમ્બેમાં ડાન્સ એકેડેમી સાથે જોડાયેલા વિવાદ દરમિયાન બબાલ અને મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડાન્સ એકેડેમીમાં કામ કરતી યુવતીઓને ઇજા પહોંચી છે. વસ્ત્રાપુર પોલીસે દંપતી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોટલ ગ્રાન્ડ કેમ્બેમાં આવેલી ડાન્સ એકેડેમીનો ત્રણ વર્ષનો ભાડા કરાર પૂરો થઈ ગયો હતો. કરાર રીન્યુ કરવા માટે એકેડેમીના માલિક અને જગ્યાના માલિક વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન ગત 4 ડિસેમ્બરે ડાન્સ એકેડેમીમાં સ્ટાફ હાજર હતો. બંનેએ યુવતીઓ સાથે ધક્કામુક્કી કરી હતીત્યારે ઉપરના માળે સ્કાય ઇમ્પિરિયલ હોટલ ચલાવતા હર્ષ અમીન અને અજય પવાર ત્યાં પહોંચ્યા હતા. તેમણે ડાન્સ એકેડેમીના સ્ટાફને જગ્યા ગેરકાયદે કબજામાં રાખી હોવાનો આરોપ લગાવી તાત્કાલિક ખાલી કરવાની માગ કરી હતી. આ દરમિયાન બંનેએ યુવતીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. આ ઘટનામાં ભાવનગરની રહેવાસી અને હાલ ઘાટલોડિયામાં રહેતી ભુમિકાબેન રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ધક્કો મારવામાં આવતા ભુમિકાબેન ટેબલ સાથે અથડાઈ ગયા હતા. બાદમાં હર્ષ અમીનની પત્ની અંકિતા અમીન પણ ત્યાં આવીને ઝગડો કર્યો હતો અને યુવતીઓ સાથે લાફા-ઝીકા અને વાળ પકડીને મારામારી કરી હતી. દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયોમારામારી દરમિયાન એકેડેમીમાં કામ કરતી અન્ય યુવતીઓને પણ ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા વસ્ત્રાપુર પોલીસે હર્ષ અમીન, તેમની પત્ની અંકિતા અમીન અને અજય પવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા આ નરાધમને તબેલાના માલિકે જોઈ જતાં, આરોપી ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. અડાજણ એલ.પી. સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અડાજણ ચોસઠ જોગાણી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે, જ્યાં 25 જેટલી ગાયો છે. રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં, હનીપાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્ર યાદવ (રહે. બિહાર) તબેલામાં ચોરીછૂપીથી ઘૂસ્યો હતો. તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીએ આ શંકાસ્પદ હલચલ જોઈ જતાં તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો હતો. બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. બ્રિજમોહન એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. પોલીસ અને જનતાએ ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યોમાલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો હતો. બળદેવભાઈ અને તેમના સાથીએ મોપેડ પર તેનો પીછો શરૂ કર્યો. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસને મદદ માટે બૂમ પાડી હતી. પોલીસે સમયસૂચકતા વાપરી પીછો કર્યો અને જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસેથી આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. આરોપી એક બાળકીનો પિતા છેપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી બ્રિજમોહન છેલ્લા એકાદ વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. તે પરિણીત છે અને તેને એક-બે વર્ષની નાની બાળકી પણ છે, જેઓ વતનમાં રહે છે. પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલ પશુને પણ નિશાન બનાવ્યું હતું. 'બેસ્ટીયાલીટી': એક ગંભીર માનસિક બીમારી અને ગુનોમનોચિકિત્સકોના મતે, પશુઓ સાથે સંભોગ કરવાની આવી વિકૃતિને 'બેસ્ટીયાલીટી' કહેવામાં આવે છે. આ એક પ્રકારની ગંભીર માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ માનસિક રીતે મેચ્યોર હોતી નથી અને તેની હવસ સંતોષવા માટે પશુઓનો સહારો લે છે. કાયદાકીય રીતે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણાય છે, જેમાં લાંબી કેદની સજાની જોગવાઈ છે. અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધર્માંતરણ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઈકોર્ટે એક પિતાની અરજી ફગાવી કાઢી છે. જેમાં પિતાએ એવી દાદ માગી હતી કે, તેની પુત્રીનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાયું હોવાથી આ મામલે ઓથોરિટીને FIR નોંધવા આદેશ કરવામાં આવે. જોકે, હાઈકોર્ટે આ અરજી રદ કરતા એવું તારણ રજૂ કર્યું કે, અરજદારની પુત્રી દ્વારા આ સમગ્ર મામલે કોઈપણ આક્ષેપ કે આરોપ લગાવવામાં આવ્યો નથી. તેણે કોઈ અવાજ ઉઠાવ્યો નથી, પરંતુ તેનાથી વિપરીત તેણે સ્વેચ્છાએ ધર્માંતરણ કરીને લગ્ન કર્યા છે. તેથી આ કિસ્સામાં ઓથોરિટીને કોઈપણ દિશાનિર્દેશ આપવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પિતાનો હાઈકોર્ટમાં દાવો પુત્રીનું ધર્માંતરણ કરાયુંઆણંદ જિલ્લાનો આ કિસ્સો છે. જેમાં એક મુસ્લીમ વ્યક્તિએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને એવો દાવો કર્યો હતો કે, તેની પુત્રીનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. જે ગેરકાયદેસર હોવાથી પોલીસ વિભાગને આ મામલે ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવે. અરજદારની દલીલ હતી કે, અરજદારે રજૂઆત કરી છે કે, તેની પુત્રીએ ધર્માંતરણ કરીને જે લગ્ન કર્યા છે તેની સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે. આરોપીઓ સાથે મળીને તેનું ગેરકાયદેસર ધર્માંતરણ કરીને લગ્નની નોંધણી કરવામાં આવી હોવાથી ગુનો બનતો હોઇ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવે. અરજદારની પુત્રીએ સ્વેચ્છાએ લગ્ન કર્યાબીજી તરફ રાજ્ય સરકાર તરફથી અરજીનો વિરોધ કરતાં રજૂઆત કરવામાં આવી હતી કે, કથિત ધર્માંતરણ રાજસ્થાનમાં થયો હતો અને અરજદારની પુત્રીએ જેતે સમયે કોઈ ફરિયાદ કરી નથી. તેણે સ્વેચ્છાએ લગ્ન કર્યા છે. તેથી અરજદારના આક્ષેપ મુજબ કોઈપણ ગુનો સાબિત થતો નથી. આવી પરિસ્થિતિઓમાં હાલની અરજી રદ થવાને પાત્ર છે. અરજદારની પુત્રી દ્વારા કોઈપણ આરોપ લગાવ્યો નથીહાઇકોર્ટે કેસના તથ્યો અને બંને પક્ષોની રજૂઆત બાદ આદેશમાં નોંધ્યું હતું કે, ‘અરજદારની મુખ્ય ફરિયાદ એ છે કે તેની પુત્રીએ ધર્માંતરણ કર્યું છે. જે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 2003ની જોગવાઈઓથી વિપરીત અને વિરુદ્ધ છે. કાયદાની કલમ 3A હેઠળ અરજદારને પિતા હોવાના કારણે ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. પરંતુ ધર્માંતરણનું કથિત કૃત્ય રાજસ્થાનમાં થયું હતું અને અરજદારની પુખ્ત પુત્રીએ એના આધારે લગ્ન કર્યા હતા. જે લગ્નની નોંધણી સક્ષમ અધિકારી સમક્ષ થઇ છે. ઉપરોક્ત કાયદા હેઠળ, છેતરપિંડી, લાલચ અથવા ખોટી રજૂઆત અથવા અન્ય કોઈપણ રીતે છેતરપિંડી દ્વારા ધર્માંતરણ કરવામાં આવે તો જ ગુનો નોંધવો જોઈએ. પંરતુ પ્રસ્તુત કિસ્સામાં અરજદારની પુત્રી દ્વારા કોઈપણ આરોપ લગાવ્યો નથી કે કોઇ અવાજ ઉઠાવ્યો નથી. તેનાથી વિપરીત તેણે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા છે. પરિણામે તંત્રને કોઈ પણ દિશાનિર્દેશ આપવાનો પ્રશ્ન ઉભો થતો નથી. લગ્ન માટે ધર્માંતરણ થયું હોઇ તેને ગેરકાયદેસર ગણી શકાય નહીંહાઇકોર્ટે આદેશમાં કાયદાની જોગવાઇઓની વધુ સ્પષ્ટતા કરતાં નોંધ્યું હતું કે,અરજદારની પુત્રી પુખ્ત વયની છે અને તેણે કોઈપણ કથિત ધર્માંતરણ અથવા ગેરકાયદેસર લગ્ન અંગે અવાજ ઉઠાવ્યો નથી. ભારતના બંધારણના અનુચ્છેદ 226 હેઠળ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 નો અભિન્ન ભાગ છે. તે જ જીવનનો અધિકાર પણ પ્રદાન કરે છે. જે અધિકારનો ઉપયોગ પ્રક્રિયાગત, ન્યાયી અને વાજબી રીતે થયો હોય તો તેને છીનવી શકાતો નથી. ફક્ત લગ્ન માટે ધર્માંતરણ થયો હોઇ તેને ગેરકાયદેસર અથવા ગેરકાયદેસર ધર્માંતરણના હેતુથી કરવામાં આવેલા લગ્ન ગણી શકાય નહીં. તેથી આ કોર્ટ કોઈપણ ફરિયાદ નોંધવા માટે આદેશ કરી શકે નહીં.
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને વ્યવસ્થાપનને લગતા ત્રણ મહત્ત્વના નિર્ણયો અને પ્રક્રિયાઓ સામે આવી છે. જેમાં એક તરફ સામાજિક શૈક્ષણિક હેતુ માટેની એફએસઆઈ માફીનો રાજ્ય સરકારે છેદ ઉડાડી દીધો છે, બીજી તરફ ચૂંટણી કાર્ડમાં ક્ષતિઓ બદલ લાખો લોકોને નોટિસ ફટકારવાની તૈયારી થઈ છે, અને સાથે જ મહિલાઓની સુવિધા માટે 'શી-બ્લોક'ના સંચાલનને નવો આયામ આપવાનું નક્કી કરાયું છે. શાસકોના ઠરાવ પર રાજ્ય સરકારની 'બ્રેક': હોસ્ટેલ માટે 3.78 કરોડ ભરવા પડશેસુરતના સરથાણા-પાસોદરા અને વાલક વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશાળ હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે હોવાથી, સંસ્થાએ પેઇડ એફએસઆઈ પેટે ભરવાની થતી 3,78,71,730 ની રકમ માફ કરવા રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકાના શાસકોએ વર્ષ 2022માં સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં આ રકમ માફ કરવાનો ઠરાવ પસાર કરીને મંજૂરી અર્થે રાજ્ય સરકારને મોકલ્યો હતો. જોકે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે બીપીએમસી એક્ટ1949ની કલમ 451 હેઠળ આ ઠરાવને અમાન્ય રાખતા રદ કરી દીધો છે.સંસ્થાએ અત્યાર સુધીમાં પ્રથમ હપ્તા પેટે 47.33 લાખ જમા કરાવ્યા છે. હવે બાકીની કરોડોની રકમ સંસ્થાએ ભરવી પડશે. સંસ્થાએ જણાવ્યું હતું કે,આ બિલ્ડિંગનો હેતુ સંપૂર્ણ શૈક્ષણિક છે અને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને વાજબી દરે રહેવાની સુવિધા આપવા માટે છે, કોઈ વ્યવસાયિક લાભ માટે નથી. છતાં, સરકારે નિયમોને આધીન રહીને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. મતદાર યાદી સુધારણા: 11.80 લાખ મતદારોના પુરાવા અધૂરા, 21મીથી નોટિસનો દોરસુરત જિલ્લામાં ચાલી રહેલા 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમ અંતર્ગત ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લામાં અંદાજે 11.89 લાખ મતદારો એવા છે જેમણે ફોર્મ તો ભર્યા છે, પરંતુ તેમના ડોક્યુમેન્ટ્સ અથવા વિગતો અધૂરી છે.તંત્ર દ્વારા આ પ્રક્રિયાને પારદર્શક અને સચોટ બનાવવા માટે યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે:અધૂરી વિગતો ધરાવતા મતદારોને 21મી સપ્ટેમ્બર સુધીમાં નોટિસ ફટકારવામાં આવશે. ત્યારબાદ ૨૭મી ડિસેમ્બરથી પ્રત્યક્ષ હિયરિંગની પ્રક્રિયા હાથ ધરાશે. હિયરિંગ માટે 935 મદદનીશ ચૂંટણીઅધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ સામેલ છે. રોજનું 50 હિયરિંગ કરવાનો ટાર્ગેટ છે અને આ સમગ્ર કામગીરી 35 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.જિલ્લા પ્રભારી સચિવ ડો. રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ રાજકીય પક્ષોને આ પ્રક્રિયામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી મતદાર યાદીમાં કોઈ ક્ષતિ ન રહે. મહિલાઓ માટે 'શી-બ્લોક': બ્રેસ્ટ ફિડિંગ સહિતની સુવિધાઓ મફત મળશેશહેરની મહિલાઓની સલામતી અને સુવિધા માટે પાલિકાએ બનાવેલા 'શી-બ્લોક'ના સંચાલનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વરાછા ઝોનના ઉમરવાડામાં બોમ્બે માર્કેટ પાસે બની રહેલા રિફ્રેશિંગ સ્ટેશનને હવે PPP મોડલ પર ચલાવવાની દરખાસ્ત મુકાઈ છે. ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ કો-ઓપરેટિવ સોસાયટીએ આ બ્લોકના સંચાલન માટે રસ દાખવ્યો છે. તેઓ 10 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 51 હજાર (કુલ 5.10 લાખ) પાલિકાને ચૂકવશે. મહિલાઓ માટે શું ફાયદો?બ્રેસ્ટ ફિડિંગ માટે આવતી મહિલાઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.સ્ટેશનની જાળવણી અને સિક્યુરિટી એજન્સીના ખર્ચે રહેશે.મહિલાઓને ગોપનીયતા અને પાયાની સુવિધાઓ સરળતાથી મળશે. જાળવણીના બદલામાં એજન્સીને ત્યાં જાહેરાતના હકો આપવામાં આવશે. આ અંગેનો અંતિમ નિર્ણય હવે સ્થાયી સમિતિ લેશે.
સુરતનું ઘરેણું ગણાતા ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઇજારદારની લાપરવાહી હવે તેને ભારે પડી રહી છે. 15મી ડિસેમ્બરની સમયમર્યાદા વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતા અને શાસકોએ શરમજનક સ્થિતિમાં મુકાવું પડતા, સુરત મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા છે. મનપાએ ઇજારદાર એમ.પી. બાબરિયાને 3.32 કરોડની પેનલ્ટી ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસો ન મળે તો બ્લેકલિસ્ટ કરવાની ચીમકી આપી છે. કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિને કારણે SMCની પ્રતિષ્ઠાને નુકસાનડુમસ સી-ફેસ પ્રોજેક્ટ શાસકો માટે અત્યંત મહત્વકાંક્ષી છે. કન્સલ્ટન્સીની બાંહેધરી પર વિશ્વાસ રાખીને શાસકોએ લોકાર્પણની જાહેરાતો પણ કરી દીધી હતી. જોકે, ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરી હજુ અધૂરી છે. પાલિકાએ ફટકારેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ઇજારદાર અને કન્સલ્ટન્સી વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ દેખાય છે, જે ગંભીર બાબત છે. આ ઢીલી નીતિને કારણે મહાપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. પેકેજ-1 અને 2ના આ કામો હજુ પણ લટકેલાકરોડોના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટમાં નીચે મુજબની મહત્વની કામગીરીઓ હજુ પૂર્ણ થઈ શકી નથી જેમાં પ્રરોમીનાડ એરિયા અને ઈવેન્ટ ગ્રાઉન્ડ, સ્કલ્પચર અને હોર્ટિકલ્ચર (બાગાયતી કામ), MLCP (મલ્ટી લેવલ કાર પાર્કિંગ), એમેનિટીસ, સિવિલ વર્ક અને ફિનિશિંગ વર્ક શામેલ છે. આ સમગ્ર પ્રોજેક્ટ એમ.પી. બાબરિયાનો છે અને તેમની સાથે જોઈન્ટ વેન્ચરમાં યુનિક કન્સ્ટ્રકશન પણ સામેલ છે. અગાઉ પ્રદૂષણ બદલ પણ દંડાયા હતાઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મનપા કમિશનર શાલિની અગ્રવાલે જ્યારે સાઇટની મુલાકાત લીધી હતી, ત્યારે ત્યાં ધૂળ ઉડતી જોવા મળી હતી અને ગ્રીન નેટ જેવા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન જણાયું હતું. તે સમયે પણ તંત્ર દ્વારા 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે કામમાં વિલંબ થતા સીધો 3 કરોડથી વધુનો ફટકો પડ્યો છે. 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશમહાપાલિકાએ કન્સલ્ટન્ટ એમ.પી. બાબરિયાના જયેશ દલાલને નોટિસ આપીને તાકીદ કરી છે કે, શા માટે તેમને બ્લેક લિસ્ટમાં ન મૂકવા? તેનો લેખિત ખુલાસો આગામી 3 દિવસમાં રજૂ કરવો. જો સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.
આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે એક અનોખા સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ 'જલસા સ્ટ્રીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બરને રવિવારના રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ઘ-4 પાસે યોજાનાર આ કાર્યક્રમમાં ફિટનેસની સાથે કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. 21 ડિસેમ્બરે 'જલસા સ્ટ્રીટ'નું આયોજનઆગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે 21 ડિસેમ્બરે એક અનોખા સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ 'જલસા સ્ટ્રીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. સૂર્ય નમસ્કાર જેવી 'હાઈ એનર્જી ફિટનેસ ચેલેન્જ'આ કાર્યક્રમને બે ભાગમાં વિભાજિત કરાયો છે. પ્રથમ સત્રમાં બાળકો માટે ટ્રેમ્પોલીન જમ્પિંગ અને સ્કેટિંગ જેવી રમતો સાથે 'કિડ્સ એન્ડ ફન ઝોન' હશે. સાથે જ 'નોસ્ટાલ્જીયા ફિટનેસ' વિભાગમાં રસ્સા ખેંચ, સાતોલિયું અને ભમરડા જેવી દેશી રમતો રમાડવામાં આવશે. યુવાનો માટે પ્લેન્ક ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર જેવી 'હાઈ એનર્જી ફિટનેસ ચેલેન્જ' પણ યોજાશે. 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્કજ્યારે સાંજે 7 વાગ્યાથી શરૂ થતા બીજા સત્રમાં મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાગરિકો ઝુમ્બા, વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ, ગરબા અને અન્ય કલ્ચરલ પર્ફોર્મન્સનો ભરપૂર આનંદ માણી શકશે, જે કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના ઉત્સાહમાં વધારો કરશે. નાગરિકોના લાભાર્થે સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા દ્વારા જાહેર કરાયું છે કે આ 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્ક છે.
વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિપક્ષે આરોગ્ય અને શિક્ષણના મુદ્દે સત્તા પક્ષને આડેહાથ લેતા જ સત્તાપક્ષે વિપક્ષના સભ્યોને એકજ વાહનમાં સમાઇ જશો તેવો ટોણો મારતાં સભામાં ગરમાવો આવી ગયો હતો. ગ્રાન્ટ સરખા ભાગે સભ્યોને ફાળવવા માટે રજૂઆત કરીજિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા મળી હતી. એજન્ડા ઉપર 18 કામો લેવામાં આવ્યા હતા. સભાની શરૂઆતમાં વિપક્ષના નેતા મુબારક પટેલે સમગ્ર જિલ્લાના વિકાસ માટે ગ્રાન્ટની રૂપિયા 7 કરોડ રકમ અને રૂપિયા 2 કરોડની રકમ જે જમા છે તે રકમ સરખા ભાગે સભ્યોને ફાળવવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે બે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હોવા છતાં પંચાયતનાજ બે સભ્યો દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચાર સભ્યો એકજ વાહનમાં સમાઇ જશો તેવો ટોણો માર્યોવિપક્ષી નેતાએ જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ કથળી ગયું હોવાનો આક્ષેપ કરતા સત્તાપક્ષે વળતો જવાબ આપતાં જણાવ્યું કે, ચાર સભ્યો એકજ વાહનમાં સમાઇ જશો તેવો ટોણો મારતાં સભામાં ગરમાવો આવી ગયો હતો. વિપક્ષે સામે પ્રહાર કરતા જણાવ્યું કે, આંગણવાડીઓમાં બાળકો માટે કોઇ સુવિધાઓ નથી. શાળાઓના ઓરડા ખખડધજ બની ગયા છે. જોકે, વિપક્ષના આક્ષેપોના સત્તાપક્ષના સભ્યોએ ફગાવી બચાવનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી નેતા મુબારક પટેલે સત્તાપક્ષ ભાજપાના બે સભ્યો બ્લેકલિસ્ટ કરાયેલા બે કોન્ટ્રાક્ટરોને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટના સામાકાંઠા વિસ્તારના જાણીતા ઇમિટેશન વેપારી અને અગ્રણી દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા (ઉ.વ.60) એ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા વેપારી આલમમાં ભારે શોક વ્યાપી ગયો છે. રણછોડનગર વિસ્તારમાં રહેતા અને સંતકબીર રોડ પર શિંગાર સેલ્સ નામે શો-રૂમ ધરાવતા દેવરાજભાઈ અવારનવાર સાયપર સ્થિત ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કરતા હતા. સવારે પુત્ર અંકિતે ફોન કરતા પિતાએ પ્રતિસાદ ન આપતા તે રૂબરૂ ફાર્મ હાઉસ પહોંચ્યો હતો, જ્યાં પિતાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ઇમિટેશન એસોસિએશનના સક્રિય સભ્ય હતા અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા હતા. ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના રાજકીય અને વેપારી અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. દેવરાજભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આપઘાતનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગરો બેફામ, કુવાડવા પાસે સ્વીફ્ટ કારમાંથી 720 બોટલ દારૂ ઝડપાયો રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતા શહેરમાં દારૂ ઘુસાડવા સક્રિય થયેલા બુટલેગરોના મનસૂબા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું છે. પોલીની ટીમે બાતમીના આધારે કુવાડવા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ સામેથી એક શંકાસ્પદ સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 720 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 57,600 નો દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી ચાલક રજાક ગુલાબભાઈ નોતીયારની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજસ્થાનના સાતુરથી દારૂનો જથ્થો લાવ્યો હતો અને નવાગામના હુસેન નામના શખ્સને પહોંચાડવાનો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આરોપી રજાક હજુ 3 દિવસ પહેલા જ દારૂના ગુનામાં જેલમાંથી છૂટ્યો હતો, અને જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરી દારૂની હેરાફેરી શરૂ કરી દીધી હતી. હાલ પોલીસે ફરાર હુસેનની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. અયોધ્યા ચોક પાસે વેપારની અદાવતમાં યુવાન પર હુમલો કરનાર 6 શખ્સોની ધરપકડ રાજકોટના અયોધ્યા ચોક પાસે સિનર્જી હોસ્પિટલ નજીક એક મહિના પહેલા બનેલી મારામારીની ગંભીર ઘટનામાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રૈયા રોડ પર રહેતા અને રેતી-કપચીનો વેપાર કરતા 21 વર્ષીય પાર્થ ઉર્ફે સોનુ ફિચડીયા પર તેના જ મિત્ર પ્રણવ અને તેના પિતા મયુર દેવાયતકા સહિતની ટોળકીએ ધંધાકીય અદાવતમાં હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો મુજબ, 16/11ના રોજ મયુર દેવાયતકાએ પાર્થને બોલાવી 'તું અમારી પાસેથી ધંધો શીખી અમારા ગ્રાહકોને માલ કેમ આપે છે?' તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ પ્રણવ, શની બારોટ, હિતેષ મોઢવાડીયા, કાના ઓડેદરા અને સાગર ક્રિષ્નાતરે એકસંપ કરી પાર્થ પર ધોકા અને બેટથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવાનને પછાડી દઈ છાતી પર બેસી બેફામ માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધીકા ભારાઈની સૂચનાથી પીઆઈ ટી. ડી. જાડેજા અને ટીમે તમામ 6 આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરવાની તજવીજ પણ હાથ ધરી છે. વાંકાનેર રેલ્વે સ્ટેશને ભીડનો લાભ લઈ શ્રમિકના ખિસ્સામાંથી રૂ. 80,000ની ચોરી વાંકાનેરથી વિરમગામ જવા માટે ટ્રેનમાં ચડી રહેલા એક શ્રમિકના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ. 80,000ની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે હરિયાણાના વતની રામચંદ્ર ફુલચંદ્ર વાસી (ઉ.વ. 44) એ રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રામચંદ્ર પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ગુજરાતમાં ખેત મજૂરી અર્થે આવ્યા હતા. સપ્ટેમ્બર 2025માં તેઓ કચ્છના રાધનપુર ગામે કપાસ વીણવાની મજૂરી કરવા ગયા હતા, જ્યાં તેમને મજૂરી પેટે કુલ રૂ. 80,000 મળ્યા હતા. ગત તારીખ 6 નવેમ્બરના રોજ તેઓ મજૂરી કામ ન મળતા વાંકાનેરથી વિરમગામ જવા માટે બપોરની ટ્રેનમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમિયાન જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરે તેમના ઝભ્ભાના ખિસ્સામાંથી મજૂરીના રૂ. 80,000 સેરવી લીધા હતા. ટ્રેન ચાલતી થયા બાદ તપાસ કરતા નાણાં ગાયબ હોવાનું જણાયું હતું. આ બનાવ સંદર્ભે રેલ્વે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડીની ગોળી મારીને હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી
Firing During Kabaddi Tournament in Punjab: પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન આજે (15 ડિસેમ્બર) અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બોચડવા ગામમાં રહેતા એક વૃદ્ધ ખેડૂત પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયો હતો, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ.42,000ની કિંમતનો સોના-ચાંદીનો દાગીના અને રોકડ રકમ ચોરી ગયા ફરિયાદ ઉમરાળા પોલીસ મથકે નોંધાવી હતી, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ના બોચડવા ગામમાં ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા રવજીભાઇ ઝવેરભાઇ ગોરશીયા ઉ.વ.68 એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્ની ગત તારીખ 27/11/2025 ના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે રામપરા તા. બરવાળા ખાતે લગ્નમાં ગયા હતા. જતા પહેલા તેમણે ઘરના બંને રૂમને આગળીયા મારી અને મેઈન દરવાજે તાળું મારી દીધું હતું.તારીખ 29/11/2025 ના રોજ સવારે અગિયાર વાગ્યે રવજીભાઈએ તેમના ગામના મુનાભાઈ દીનેશભાઈ ભટ્ટને ફોન કરીને બંધ મકાન પર એક આંટો મારવાનું કહેલું. મુનાભાઈએ ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરનું તાળું તૂટેલું છે. આ સાંભળી રવજીભાઈ અને તેમના પત્ની તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા. ઘરે આવીને જોતા મેઈન દરવાજાનો નકુચો તૂટેલો હતો. અંદર જઈને તપાસ કરતા એક રૂમમાં રાખેલો લોખંડનો કબાટ ખુલ્લો હતો અને તેનું લોક પણ તોડી નાખવામાં આવ્યું હતું. કબાટમાં તપાસ કરતા સોનાનો હાર આશરે 6 તોલા, 30 વર્ષ જૂનો કિં.રૂ.30,000, ચાંદીના બે જોડ છડા કિં.રૂ.2,000, સોનાની ચીપ લગાવેલ પ્લાસ્ટિકની ચૂડી કિંમત રૂપિયા 3,000 તથા રોકડા રૂપિયા 7,000 મળી કુલ રૂપિયા 42,000 નો મુદામાલાની ચોરી થવા પામી હતી, પરિવાર દ્વારા આ અંગે પોતાની રીતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ ભાળ ન મળતા આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરીનો ફરાર આરોપી સુરતથી ઝડપાયો:નવસારી LCBએ 6 ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો
નવસારી LCBએ ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મુકીમુદીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝીને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો અને તેના વિરુદ્ધ અગાઉ પણ 6 જેટલા ગુના નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને આ સફળતા મળી છે. LCBની ટીમે બાતમીના આધારે સુરતમાં તેના રહેઠાણ પરથી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ મુકીમુદીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝી (ઉંમર: 38 વર્ષ) તરીકે થઈ છે. તે સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ રહેઠાણ મહારાષ્ટ્રના ભુસાવલ જિલ્લાનું મારુડ ગામ છે. આરોપી મુકીમુદીન ઉર્ફે ચાચા કાઝી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 331(3) અને 305(એ) મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. LCB દ્વારા તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી મુકીમુદીન ઉર્ફે ચાચા કાઝીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ અગાઉ વિજલપોર, કિમ, જલાલપોર અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં કુલ 6 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે આયોજિત જલકથામાં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત, અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન અને દેહદાનના સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવશે. સંકલ્પ પત્રો ભરવાનો સમય સાંજે 6:00 વાગ્યાથી રાત્રીના 12:00 કલાક સુધીનો રહેશે. ભરાયેલા કાર્ડને તુરંત લેમિનેશન કરીને આપવામાં આવશે. જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશ મહેતાએ વિવિધ સમાજના આગેવાનો અને સેવાભાવીઓને આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 783 ચક્ષુદાન, 61 દેહદાન અને 44 સ્કીન ડોનેશન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા છે. તબીબી વિજ્ઞાનમાં અંગદાનને 'Deceased Organ Transplant' એટલે કે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું પ્રત્યારોપણ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા માનવજાત માટે આ એક અદ્ભુત સુવિધા છે, જે મૃત્યુ સામે લડવાની એક રીત પૂરી પાડે છે. આ માટે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન અત્યંત આવશ્યક છે. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ અને ફેફસાં જેવા અંગો કુદરત દ્વારા માનવીને મળેલી અમૂલ્ય ભેટ છે. સેંકડો વ્યક્તિઓના અંગો અંતિમ ક્રિયા દરમિયાન નાશ પામે છે, જ્યારે તે ઘણા લોકોને નવું જીવન આપી શકે છે. સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ જેટલી વધશે, તેટલા વધુ અંગદાન થશે અને વધુ લોકોનું જીવન બચી શકશે અથવા નવપલ્લવિત થઈ શકશે. ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગે વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો. 94285 06011) નો સંપર્ક કરી શકાય છે.
વાપીમાં સાયબર ફ્રોડ મામલે મોટી કાર્યવાહી:મ્યુલ બેંક એકાઉન્ટ આપનાર સામે ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ગંભીર મામલે વાપી ટાઉન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ફરહાન સલીમ ઘાંચી નામના આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપ મુજબ, ફરહાને વોન્ટેડ આરોપી ઝેદ ઉર્ફે સાનુ હનીફ શેખના કહેવાથી પોતાનું કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં આપ્યું હતું. તેણે આ એકાઉન્ટમાં આવેલા નાણાં ઉપાડી ઝેદને પહોંચાડ્યા હતા. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રવિન્દ્ર દનુભાઈ પાટીલની ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ હતી. સાયબર ક્રાઇમ સેલના સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતી મુજબ, વાપી ખાતે ખુલેલું કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ શંકાસ્પદ જણાયું હતું. તપાસમાં સામે આવ્યું કે, આ એકાઉન્ટમાં 8 એપ્રિલ 2025 થી 9 એપ્રિલ 2025 દરમિયાન કુલ 5,15,000 રૂપિયા જમા થયા હતા. આ રકમમાં 3,15,000 રૂપિયા અને 2,00,000 રૂપિયાનો સમાવેશ થાય છે, જે તમામ રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ફરહાન સલીમ ઘાંચીએ કબૂલ્યું કે, 1 ટકા કમિશનની લાલચમાં તેણે પોતાનું બેંક એકાઉન્ટ ઝેદ ઉર્ફે સાનુ હનીફ શેખને આપ્યું હતું. તેણે સાયબર ફ્રોડથી આવેલા રૂપિયા ઉપાડીને ઝેદને પહોંચાડ્યા હતા. આ મામલે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 313(4), 318(4), 61(2), 3(5) તથા આઈ.ટી. એક્ટ 2008ની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો સ્નેહ મિલન કાર્યક્રમ કે.કે. પટેલ હાઈસ્કુલ, કોલવડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ એમ.કે. રાવલ, નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિવિધ જિલ્લાના શિક્ષણ ખાતાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સમાચારના સંપાદક કેતનભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકા વોર્ડ નં. 7ના કોર્પોરેટર સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ મનુભા વાઘેલા, કે.કે. પટેલ વિદ્યાલય, કોલવડાના આચાર્ય ભાવનાબા વાઘેલા તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મહેસાણાના નિવૃત્ત અધિક્ષક રમણભાઈ પટણી ઉપસ્થિત રહ્યા હતા. હોલના પ્રવેશ દ્વારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા મંડળના સભ્યોનું ચંદન તિલક અને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ કે.કે. પટેલ વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહિપતસિંહ વાઘેલાએ કર્યું હતું. આ પ્રસંગે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના મંડળના સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ-2025માં મંડળના સભ્યો પૈકી જે સભ્યના સંતાનોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેનું પણ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત નાટ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર મંડળના મહામંત્રી જી.કે. પરમારની દીકરી દીપલ પરમાર, ગાંધીનગરથી લેહ-લદાખ સુધીની બાઇક રાઇડ કરનાર મંડળના ખજાનચી ભૂપેન્દ્ર ગજ્જરની દીકરી નિયતિ ગજ્જર તથા ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં સહાયક સંગીતકાર તરીકે સંગીત આપનાર મંડળના સભ્ય રતિલાલ વાઘેલાના દીકરા ગિટારિસ્ટ વિરાજ વાઘેલાનું શીલ્ડ અને શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ, કેન્સર તથા સ્વદેશી અપનાવો અંગે જન જાગૃતિની કામગીરી કરવા બદલ મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયાના દીકરા અર્પિત ધોળકિયાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. મંડળના સભ્ય રમણભાઈ પટણીએ આર્થિક સહયોગ રૂપે મંડળને ₹51,000નો ચેક મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ તથા મહામંત્રી જી.કે. પરમારને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમના ભોજનદાતા તરીકે સોનલબા વાઘેલાએ યોગદાન આપ્યું હતું. મંડળના સભ્યો મલય વૈષ્ણવ, શ્રવણ પરમાર તથા આમંત્રિત કલાકાર ભરત વાણીયાએ ફિલ્મી ગીતો રજૂ કરીને મનોરંજન કર્યું હતું. ગિટારિસ્ટ વિરાજ વાઘેલાએ પણ ગિટાર સાથે ગીત ગાઈને વિશેષ પ્રસ્તુતિ કરી હતી. ઉપસ્થિત સભ્યોએ નોકરી દરમિયાનના સંસ્મરણો તાજા કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા સભ્યોને તાંબાના જગની આકર્ષક ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપલ પરમાર તથા સહમંત્રી અમૃતલાલ સુથારે કર્યું હતું. આભાર વિધિ મલય વૈષ્ણવે કરી હતી.

23 C