SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ગાંધીનગરમાં ઝરખની દહેશત:સેક્ટર-25માં શિકારી પ્રાણી દેખાતા સ્થાનિકોમાં ફફડાટ, વન વિભાગનું રાત્રી સર્ચ ઓપરેશન

પાટનગર ગાંધીનગરના સેક્ટર-25 વિસ્તારમાં ઝરખ જોવા મળ્યું હોવાના દાવાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂર્યનારાયણ સોસાયટી વિસ્તાર અને ખાસ કરીને સંતોષી માતાજીના મંદિર નજીક આ શિકારી પ્રાણી જોવા મળ્યું હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે, જેના પગલે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. હાલમાં વન વિભાગની ટીમ ધ્વારા અત્રેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. આ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્રેના વિસ્તારમાં ઝરખ જોવા મળ્યા હોવાનો મેસેજ મળતાની સાથે જ અમારી ટીમને તાત્કાલિક અસરથી રવાના કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. જોકે, અધિકારીના જણાવ્યા મુજબ, ટીમે વિસ્તારની ઘનિષ્ઠ તપાસ કરી હોવા છતાં હજી સુધી ઝરખ ખરેખર જોવા મળ્યું હોવાના કોઈ નક્કર પુરાવા કે પગના નિશાન મળી શક્યા નથી. સામાન્ય રીતે, ગાંધીનગરની આસપાસના જંગલ વિસ્તારમાં આ પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં તેના દેખાવાથી લોકોમાં ભય ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગે નિર્ણય લીધો છે કે રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. વન વિભાગના અધિકારીઓએ સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રાત્રીના સમયે કાર્યવાહી ચાલુ રાખી છે. જો રાત્રી દરમિયાન ઝરખના કોઈ પુરાવા ન મળે તો પણ આવતીકાલે દિવસ દરમિયાન વધુ ટીમો સાથે સમગ્ર વિસ્તારમાં ફરીથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ અન્વયે સ્થાનિક સૂર્યનારાયણ સોસાયટીના રહીશોને વન વિભાગ દ્વારા સાવચેત રહેવા, રાત્રે ઘરના દરવાજા બંધ રાખવા અને ખાસ કરીને નાના બાળકોને બહાર ન મોકલવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ અને સ્થાનિક પોલીસ સંકલન સાધી રહ્યા છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને. વન વિભાગ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે જો ઝરખ આ વિસ્તારમાં હશે તો તેને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 11:25 pm

ચુડાના નાના મોરવાડમાં પ્રેમ લગ્નના મનદુઃખમાં ટોળાનો હુમલો:યુવતીના પરિવારજનો ધારિયા, તલવાર સહિતના હથિયારો લઈ યુવકના કાકાના ઘરે તુટી પડ્યા, કાર અને ઘરવખરીમાં તોડફોડ

ચુડાના નાના મોરવાડ ગામે પ્રેમ લગ્નનું મનદુઃખ રાખી ટોળાએ હુમલો કર્યો હતો. પ્રેમ લગ્ન કરેલા યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો ધારિયા, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો લઇ તુટી પડ્યા હતા. આ ઘટનામાં યુવતીના પરિવારના 21 શખ્સો વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. રહેણાક મકાન પર હુમલો કરી કાર અને ઘર વખરી નુકસાન પહોંચાડ્યું છે. પ્રેમ લગ્ન કરેલા યુવાનના કાકા અને પરિવારજનોને માર માર્યો હતો. હુમલો કરવાના બનાવમાં યુવતીના પરિવારજનો વિરુધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ચુડાના નવી મોરવાડ ગામના ભગવાન ઉર્ફે મુકેશ રણછોડભાઇ કારોલીયા કાકાના દિકરાએ એજ ગામના માત્રાણીયા પરીવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે વાતનુ મનદુઃખ રાખી ટોળા સાથે આવેલા લોકોએ હાથમાં કુહાડી તથા ધારીયુ, લોખંડનો પાઇપ, લાકડી સહિત અન્ય ટોળાએ હાથમાં પથ્થરો રાખી એકસંપ કરી, ફરીયાદીના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત દરવાજો તોડી નાખી રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી, ફોરવ્હીલ ગાડીને તથા ઘરના બંને દરવાજા, દુકાનના શટર તથા લાઇટના મીટરને નુકસાન કરી ભગવાનભાઇ ઉર્ફે મુકેશ રણછોડભાઇ કારોલીયા, મુન્નાભાઇ, રણછોડભાઇ તથા બબુબેનને ઢીંકાપાટુનો મુંઢમાર મારી ઈજા પહોચાડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ બાબતે ચુડા પોલીસ મથકે 21 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ચુડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એન. એ. ડાભી ચલાવી રહ્યાં છે. આ લોકો સામે ફરિયાદ નોંધાઈ

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 10:39 pm

બ્રિજ નીચે ન્યુસન્સ, કંડમ વાહનો સામે પગલાં લેવાશે:સ્થાયી સમિતિ અધ્યક્ષનો તમામ ઝોન અધિકારીઓને તાત્કાલિક દબાણો દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા આદેશ

બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હવે બ્રિજ નીચેની જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો અને ન્યુસન્સના કેન્દ્રો સામે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ઠેર-ઠેર બ્રિજ નીચે કંડમ હાલતમાં પડેલા વાહનો, ભંગાર સામાન, નિરાધાર લોકોના વસવાટ અને દબાણોથી સ્વચ્છ સિટીની છબી ખરડાઈ રહી છે. આ મામલે વારંવાર ફરિયાદો છતાં પરિસ્થિતિ સુધરી નથી, શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષનો તાત્કાલિક કાર્યવાહીનો આદેશસ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે તમામ ઝોનના અધિકારીઓને તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્રિજ નીચેની જગ્યાઓ પર ભંગાર સામાન, ગોડાઉન અથવા ગેરકાયદેસર દબાણો દૂર કરીને ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નક્કર પગલાં લેવામાં આવે. અધ્યક્ષે જણાવ્યું હતું કે, અગાઉ પણ મહાપાલિકા દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા છે અને ગંદકી હોય ત્યાં સફાઈ કરવામાં આવે છે, પરંતુ ફરીથી હાલત જેવી ને તેવી થઈ જાય છે. તેથી હવે આ અંગે કાયમી નિકાલ લાવી પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે. બ્રિજ નીચે પડેલા કંડમ વાહનોને તાત્કાલિક ધોરણે દૂર કરાવવાના રહેશેસ્થાયી સમિતિએ ન્યુસન્સના આ કેન્દ્રોને દૂર કરવા માટે અધિકારીઓને દરેક ઝોને RTO સાથે સંકલન કરીને બ્રિજ નીચે પડેલા કંડમ અને બિનવપરાશી વાહનોને તાત્કાલિક ધોરણે દૂર કરાવવાના રહેશે. બ્રિજ નીચે અડિંગો જમાવી બેસેલા નિરાધાર વ્યક્તિઓને મહાપાલિકાના શેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહીમાં RTO અને પોલીસ સાથે સંકલનમાં રહીને નક્કર અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 10:13 pm

પોલીસકર્મીએ 2 ભાણિયા સાથે મળીને યુવકને ડંડાથી ઢોર માર માર્યો:યુવક અને મહિલા મિત્ર સાથે દાદાગીરી કરી, એક્ટિવા પણ સળગાવી દીધી, હેડ કોન્સ્ટેબલ સહિત 3ની ધરપકડ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામનો યુવક નોકરી પરથી છુટીને નવલખી ગ્રાઉન્ડ તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો. ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ફરજ પર ન હોવા છતાં તેના બે ભાણિયાઓ સાથે નવલખી ગ્રાઉન્ડમાં યુવક અને યુવતી પાસે જઇ લાઇસન્સ માંગ્યા હતા, પરંતુ યુવક પાસે ન હોવાથી બંને કૃત્રિમ તળાવ પાસે લઇ જઇ યુવકને ડંડા વડે માર મારી બાઇક સળગાવી દીધી હતી. જો કે, યુવતી ભાગી ગઇ હતી. જેથી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક મહિલા મિત્ર સાથે બેસીને વાતો કરી રહ્યો હતોવડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુઢેલા પાસે આવેલા એક ગામના 22 વર્ષીય યુવક નવાપુરા વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. નોકરી પર અવર-જવર કરવા માટે ટ્રાવેલ્સ સંચાલક દ્વારા તેને બાઇક આપી છે. આ દરમિયાન 6 નવેમ્બરના રોજ યુવકે નોકરી પર છુટ્યા બાદ રાત્રિના પોણા 9 વાગ્યાના અરસામાં તેની મહિલા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેસીને વાતો કરી રહ્યો હતો. હેડ કોન્સ્ટેબલે બે ભાણિયાઓને સમાધાન કરવા તળાવ પાસે મોકલ્યાઆ દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિલેશ વનરાજ બારૈયા તેના બે ભાણિયા ભૌતિક ભીલ તથા ચતુર બારૈયા સાથે યુવક અને યુવતી પાસે ધસી ગયા હતા. ત્યારબાદ પોલીસવાળાએ યુવક પાસે ગાડીના લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટસની માગણી કરી હતી, પરંતુ યુવકની પોતાના ગાડી ન હોય તેની પાસે કોઇ કાગળીયા ન હતા. જેથી પોલીસ કર્મચારી નિલેશ બારૈયા તેના બે ભાણિયાને મોકલી યુવક અને યુવતીને સમાધાન કરાવવાનું કહીને કૃત્રિમ તળાવ પાસે લઇ ગયો હતો. યુવકને ઝાડીઓમાં લઇ જઇને ડંડા વડે ત્રણ જણાએ ઢોર માર માર્યોત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી ગભરાઇ બંને સોલર પેનલ પાસે ભાગી આવ્યા હતા, ત્યારે યુવતી ત્યાં ભાગી છુટી હતી, પરંતુ પોલીસવાળા નિલેશ બારૈયાએ તેના બે ભાણિયાને ફોન કરીને યુવક ભાગી ગયો છે, તેને પરત લઇને આવો, તેમ કહ્યું હતું. જેથી ભૌતિક અને ચુતર બારૈયા યુવકને સોલાર પેનલ પાસેથી લઇને કૃત્રિમ તળાવ પાસે ઝાડીઓમાં લઇ જઇને ડંડા વડે ત્રણ જણાએ તેને ઢોર માર માર્યો હતો. ગમે તેમ કરીને યુવક તેમના ચુંગાલમાંથી છુટીને ભાગી ગયો હતો. પોલીસે હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરીપોલીસ કર્મચારી અને તેના બે ભાણિયા રોષે ભરાયા અને તેની એક્ટિવાને આગ ચંપી કરી સળગાવી રૂ.20 હજારનું નુકસાન કર્યું હતું. જેથી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજભાઈ બારૈયા, ભૌતિક ભીલ તથા ચતુર બારૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 10:07 pm

અમદાવાદમાં ‘Waves of Kindness’:16 નવેમ્બરે ARA સિંધુ ભવન રોડ પર માનવતાનું મહાઆંદોલન યોજાશે, કેન્સર સર્વાઇવર્સ, દિવ્યાંગો અને થેલેસેમિયા બાળકો એક મંચ પર

ભારતીય રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્વારા આગામી 16 નવેમ્બરે સાંજે 4થી 8 વાગ્યા સુધી ARA (સિંધુ ભવન રોડ) ખાતે “Waves of Kindness – દયાની લહેરો” નામનું માનવતાનું મહાઆંદોલન યોજાશે. આ અનોખો કાર્યક્રમ દિવ્યાંગ વ્યક્તિઓ, થેલેસેમિયા મેજર બાળકો, કેન્સર સર્વાઇવર્સ, માનસિક સ્વાસ્થ્ય યોદ્ધાઓ અને સ્વસ્થ નાગરિકોને એક મંચ પર લાવીને સમાનતા, પ્રતિષ્ઠા અને સ્વીકારનો સંદેશ આપશે. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય દરેક વ્યક્તિની આત્મિક શક્તિને સલામ કરવાનો છે – ભલે તે શારીરિક રીતે સક્ષમ હોય કે ન હોય, બીમારી સામે લડી રહ્યો હોય કે સંભાળ લેતો હોય. “માનવતા જ આપણો ધર્મ છે” – આ સૂત્રને સાકાર કરવા માટેનું આ એક દૃશ્યમાન અને દીર્ઘકાલીન પ્રભાવ ઊભો કરનારું પગલું છે. કાર્યક્રમની મુખ્ય પ્રવૃત્તિઓવૉક ઑફ યુનિટી એન્ડ હોપ: થેલેસેમિયા બાળકો, કેન્સર સર્વાઇવર્સ, દિવ્યાંગો અને સ્વયંસેવકોની આગેવાનીમાં એકતા અને આશાની ચાલ.સર્વસમાવેશક પર્ફોર્મન્સ: તમામ ક્ષમતાવાળા કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને કલા પ્રસ્તુતિ.પ્રેરણાદાયી વાર્તાઓ: થેલેસેમિયા મેજર, કેન્સર સર્વાઇવર્સ, દિવ્યાંગ સિદ્ધહસ્તો અને કેરગિવર્સના જીવંત અનુભવો.કાઇન્ડનેસ સર્કલ્સ: સહભાગીઓ વચ્ચે સહાનુભૂતિ, સેવા અને સહયોગના કાર્યોની આપ-લે.કમ્યુનિટી રેકગ્નિશન: સર્વસમાવેશકતા પ્રોત્સાહન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માન. કોણ ભાગ લઈ શકે? રેડ ક્રોસના અધિકારીઓએ જણાવ્યું કે, “તમારું ઉપસ્થિત થવું મહત્વપૂર્ણ છે. તમારું જોડાણ મહત્વપૂર્ણ છે.” ચાલો, બહાદુરો, મજબૂત અને દયાળુ લોકો સાથે ચાલીએ, દોડીએ, સાયકલ ચલાવીએ અને એવી લહેરો ઊભી કરીએ જે પ્રેરણા આપે, જોડે અને ઉન્નતિ લાવે. કાર્યક્રમની વિગતો:તારીખ: 16 નવેમ્બર 2025 (રવિવાર)સમય: સાંજે 4:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધીસ્થળ: ARA, સિંધુ ભવન રોડ, અમદાવાદ સંપર્ક:ભારતીય રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદકિરણ ચુડગર અમદાવાદ રેડ ક્રોસ શતાબ્દી ભવન6-7, વૃંદાવન પાર્ક, શેરદિલ રેડ ક્રોસ માર્ગ, નવરંગપુરાફોન: 079-26651020વેબસાઇટ: www.ahmedabadredcross.orgનોંધ: પ્રવેશ મફત છે. દરેકને હાર્દિક આમંત્રણ. આવો, એક એવી દુનિયા બનાવીએ જ્યાં “માનવતા જ આપણો ધર્મ છે.”

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:57 pm

રાજકોટ સમાચાર:રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન માળખાની રચના માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ, 20 હોદ્દેદારોની નિમણૂક થશે

રાજકોટ શહેર બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના સંગઠનના નવા માળખાની રચના માટે આજે સેન્સની પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ સાંસદ દિનેશ પ્રજાપતિ અને ગાંધીનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ રૂચિત ભટ્ટને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સેન્સ પ્રક્રિયામાં MLA જયેશ રાદડિયા, ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ વર્તમાન મહામંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા. આગામી સમયમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખને મદદરૂપ થવા માટે 20 હોદ્દેદારોની ટીમ બનશે. જેમાં 3 મહામંત્રી, 8 મંત્રી, 8 ઉપપ્રમુખ અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. ત્યારે વર્તમાન ટીમમાંથી કેટલા કાર્યકર્તાઓને રિપીટ કરવામાં આવે છે અને કેટલા નવા ચહેરાઓને સ્થાન મળે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાથી વિસ્તાર પ્રમાણે પ્રતિનિધિત્વ મળી રહે તે પ્રમાણે માળખું ગોઠવવામાં આવી રહ્યું છે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ 'આપ' પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે એ તો બધા આવે, પણ એ તો બિલાડીના ટોપ જેવી વાત છે. દિલ્હીની અંદર એક નવી પાર્ટી આવી તેણે 10 વર્ષ લોકોને છેતર્યા હતા. જોકે ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ તેને બતાવી દીધો છે. દેશમાં અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન જો ક્યાંય ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે અને ત્યાં પણ 'લુખ્ખેશો'ની સરકાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં એ ક્યારેય ફાવવાના નથી, એનો અમને ભરોસો છે. રાજકોટ રેલવે દ્વારા પેન્શનરો માટે “ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 4.0” નો પ્રારંભ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 4.0 શરૂ કર્યું છે. આ અભિયાનનો હેતુ વૃદ્ધ પેન્શનરો અને પારિવારિક પેન્શનરોને તેમનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) બેંકો સુધી ગયા વિના ડિજિટલ માધ્યમથી સરળતાપૂર્વક અને સમયસર જમા કરાવવામાં મદદ કરવાનો છે. આ વિશેષ અભિયાન 30 નવેમ્બર સુધી ચાલશે. સામાન્ય રીતે બેંકમાં જઈને પ્રમાણપત્ર જમા કરાવવું એ વૃદ્ધો માટે મુશ્કેલ પ્રક્રિયા હોય છે, જેને સરળ બનાવવા માટે ડિવિઝને આ ડિજિટલ પહેલ કરી છે. સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન વિવિધ સ્ટેશનો, કચેરીઓ અને બેંકોમાં સુવિધા શિબિર અને કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. અભિયાન હેઠળ રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 40 પેન્શનરો/પારિવારિક પેન્શનરોએ જીવન પ્રમાણપત્રો ડિજિટલ માધ્યમથી જમા કરાવ્યા છે. ડિવિઝન વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પેન્શનરોને ઘરે બેઠા જ એન્ડ્રોઇડ મોબાઈલ દ્વારા પોતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ મનપામાં ઓવરબિલ મૂકતા કોન્ટ્રાક્ટરો, ઓડિટ શાખાએ રૂ. 23 લાખના બિલ પરત મોકલ્યા રાજકોટ મહાનગરપાલિકામાં તમામ પ્રકારના પેમેન્ટના બિલ જ્યાંથી ફિલ્ટર થાય છે, તે ઓડિટ શાખા દ્વારા બિલમાં કરવામાં આવતા સુધારા-વધારાનો ત્રિમાસિક રિપોર્ટ શાસકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, છેલ્લા થોડા સમયમાં ઓડિટ શાખાએ રૂ.23 લાખ જેટલી રકમના ઓવર બિલ અલગ તારવીને પરત મોકલ્યા છે. ઓડિટ વિભાગના તાજેતરમાં રજૂ થયેલા આંકડા મુજબ, અલગ-અલગ વિભાગમાં થયેલા કામોના કોન્ટ્રાક્ટરો દ્વારા GST સહિતના ચાર્જ અને પેનલ્ટી કાપ્યા વગર બિલ મંજૂરી માટે મૂકી દેવાયા હતા. આથી, ઓડિટ વિભાગે 23.06 લાખના ઓવર બિલને ના-મંજૂર કરીને પરત મોકલ્યા છે. જેમાં વોટરવર્કસ, બાંધકામ, સોલિડ વેસ્ટ, આરોગ્ય અને ગાર્ડન વિભાગ સહિતના વિભાગોનાં બિલ ના-મંજૂર કરી સુધારા-વધારા સાથે નિયમ મુજબ બિલ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાશે, 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે વડાપ્રધાનની પ્રેરણાથી દેશના દરેક સંસદીય ક્ષેત્રમાં યોજાતા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી રવિવાર, તા. 9ના રોજ સવારે 9:30 વાગ્યે રાજકોટના રેસકોર્ષના એથ્લેટીક્સ ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન થશે. 2019થી સમગ્ર દેશમાં ઉજવાતા આ મહોત્સવનું આયોજન રાજકોટના સાંસદ પુરુષોતમભાઈ રૂપાલાના પ્રેરણાથી કરવામાં આવ્યું છે.આ રમતોત્સવનું ઉદ્ઘાટન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવશે. આ મહોત્સવમાં 17 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓથી લઈને સિનિયર સિટિઝન સુધીના કોઈપણ ભાઈઓ-બહેનો પોતાનું ખેલ કૌશલ્ય બતાવી શકે છે. 'સાંસદ ખેલ મહોત્સવ'નું આયોજન રાજકોટ ઉપરાંત મોરબી અને જસદણમાં પણ કરવામાં આવ્યું છે, જેમાં કબડ્ડી, ખોખો અને એથ્લેટિક્સ જેવી રમતોનો સમાવેશ થાય છે. હાલમાં 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેવા માટે નોંધાયા છે. રમતોત્સવ પ્રથમ તાલુકા કક્ષાએ, ત્યારબાદ ઝોન કક્ષાએ અને છેલ્લે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ યોજાશે. વિજેતા થનાર ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ રમતોત્સવની પૂર્ણાહુતિ (ક્લોઝિંગ સેરેમની) તા. 25 ડિસેમ્બરના રોજ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રોત્સાહિત કરશે. બોર્ડની પરીક્ષાઓ માટે સેન્ટરો-કેન્દ્રો નિયત કરવા માટે સ્થળ તપાસ શરૂ રાજકોટ જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા બોર્ડ પરીક્ષાના રાજકોટ શહેર જીલ્લાના પરીક્ષા સેન્ટરો-કેન્દ્રો નિયત કરવા માટે સ્થળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે જીલ્લા શિક્ષણાધિકારી પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જીલ્લાના બોર્ડના તમામ પરીક્ષા સેન્ટરો સીસીટીવી કેમેરાથી સજજ રહેશે. તેમજ નવા સેન્ટરો અને જુના સેન્ટરોની સ્થળ તપાસ બાદ આ અંગેનો રીપોર્ટ શિક્ષણ બોર્ડને હવાલે કરાશે. જરૂર જણાયે માંગણી મુજબ નવા સેન્ટરો શિક્ષણ બોર્ડ દ્વારા મંજૂર કરાશે. રાજકોટ શહેર જીલ્લામાં મોટાભાગે ગત વર્ષ જેટલા જ પરીક્ષા સેન્ટરો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ રહેશે. શ્રીનાથધામ હવેલીના આંગણે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મ.ની પધરામણી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયનું રાજકોટમાં આગમન થતાં વૈષ્ણવ સમાજમાં ધર્મોલ્લાસ છવાયો છે. વીવાયઓ શ્રીનાથધામ હવેલી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, નાના મવા મેઈન રોડ ખાતે આજથી ત્રણ દિવસ માટે તેઓ બિરાજમાન થશે. તેમના જન્મદિવસ અને પ્રભુ સુખાર્થે આજ સાંજે 6-30 કલાકથી ભવ્ય અન્નકૂટ મનોરથના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. પુષ્ટિમાર્ગીય પ્રણાલી મુજબ આયોજિત આ મનોરથમાં 51 કિલો અન્ન (સખડી)ના શિખરની દિવ્ય સજાવટ સાથે વિવિધ સામગ્રી શ્રી પ્રભુને ધરાવવામાં આવશે. આ પ્રસંગે વૈષ્ણવો પૂજ્યશ્રીનું અભિવાદન પણ કરી શકશે.ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોથી સુવાસ પ્રસરાવતી વીવાયઓ શ્રીનાથધામ હવેલી ખાતે તારીખ 9 નવેમ્બર, રવિવારના રોજ સવારે 7 કલાકે પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા પણ આપવામાં આવશે. દીક્ષા લેવા ઈચ્છતા વૈષ્ણવોએ હવેલી કાર્યાલયનો સંપર્ક કરવો અથવા વધુ વિગત માટે 93162 53423 પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:46 pm

યાત્રી કૃપયા ધ્યાન દે:પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-બૌની વચ્ચે વિશેષ ટ્રેનનું આયોજન, ટિકિટ બુકિંગ 9 નવેમ્બરથી શરૂ થશે

રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન અમદાવાદ અને બૌની (બરૌની) વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. 05262/05261 અમદાવાદ–બરૌની–અમદાવાદ સ્પેશિયલ (4 ટ્રિપ) ટ્રેન નં. 05262ની ટિકિટ બુકિંગ 9 નવેમ્બરથી શરૂ થશેઆ સ્પેશિયલ ટ્રેન દરમિયાન માર્ગમાં બંને બાજુથી આ ટ્રેન આનંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામનગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સત્ના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, હજિપુર અને શાહપુર પટોરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3 ટિયર ઇકોનોમી, સ્લીપર અને મિડલ ક્લાસ કોચ રહેશે. ટ્રેન નં. 05262ની ટિકિટ બુકિંગ 9 નવેમ્બરથી શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:38 pm

પાટણનું આઇકોનિક બસપોર્ટ તૈયાર, ટૂંક સમયમાં લોકાર્પણ:2700 વાહન પાર્ક થઈ શકે તેવું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, 500 મુસાફરોની બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ, રૂટ સર્વે થયો

પાટણમાં રૂ. 77.38 કરોડના ખર્ચે બનેલું આઇકોનિક બસપોર્ટ હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. છ વર્ષ પૂર્વે શરૂ થયેલી આ કામગીરી કોરોનાકાળ અને અન્ય કારણોસર વિલંબિત થઈ હતી, જેના કારણે પાટણવાસીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. આધુનિક બસપોર્ટમાં મુસાફરોની સુવિધા માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અલગ-અલગ પ્લેટફોર્મ પર એકસાથે 500થી વધુ મુસાફરો આરામદાયક ખુરશીઓમાં બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા છે. બે મુખ્ય પ્લેટફોર્મ પર એકસાથે 18 બસો ઊભી રહી શકશે. બસમાં ચઢવા અને ઉતરવા માટે અલગ-અલગ પ્લેટફોર્મની સુવિધા છે, તેમજ વોલ્વો બસો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે બસના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ અલગ-અલગ બનાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી ટ્રાફિકનું સંચાલન સુચારુ બનશે અને મુસાફરોને સરળતા રહેશે. બસપોર્ટના લોકાર્પણ પહેલાં, બસોની અવરજવર સરળ અને સુચારુ બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરીમાં રૂટનો સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે કામગીરીમાં મહેસાણાના વિભાગીય નિયામક યોગેશ કે. પટેલના નેતૃત્વ હેઠળ મામલતદાર બાગબાન, આરટીઓ અધિકારી, જીઇબીના જનક પટેલ, નગરપાલિકાના ટાઉન પ્લાનર સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ સંયુક્ત રીતે બસમાં બેસીને દરેક રૂટનો વ્યક્તિગત સર્વે કર્યો હતો. સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ-રસ્તા અને બસોની અવરજવર દરમિયાન આવતી સંભવિત તકલીફો અને અવરોધોને ઓળખવાનો હતો. સર્વે દરમિયાન જ્યાં પણ અવરોધો જણાયા છે, તેને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ પગલાં દ્વારા બસ સેવાઓનું સંચાલન સુચારુ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવશે. વિભાગીય નિયામક યોગેશ કે. પટેલે જણાવ્યું હતું કે, જે-જે અવરોધો જણાયા છે, તે ટૂંક સમયમાં પૂર્ણ કરીને બસપોર્ટનું લોકાર્પણ થાય તેવી અમે પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ, જેથી મુસાફરોને ઉત્તમ સુવિધા મળી શકે. 2700 વાહન પાર્ક થઈ શકે તેવું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, બેઠક, પાણી સહિતની સુવિધાઓ 500 મુસાફરોની બેઠક વ્યવસ્થા:-સ્ટીલના આરામદાયક બાંકડા 100થી વધારે ગોઠવાશે. જેમાં એકસાથે 500થી વધુ મુસાફરો બસ માટે વેઇટિંગ કરીને બેસી શકશે. ચડવા ઉતરવા અલગ પ્લેટફોર્મ :-ડેપોમાં ચાર પ્લેટફોર્મ પેસેન્જર ઉતરવા માટે છે અને મુસાફરોની સેફટી માટે પ્રોટેક્શન રેલિંગ લગાડવામાં આવી છે. LED ટીવીમાં રૂટ દેખાશે :-14 પ્લેટફોર્મ મુસાફરોને રૂટ વાઇસ અમદાવાદ, ડીસા, બેચરાજી, કચ્છ, ભુજ સહિતના રૂટ પ્રમાણે પ્લેટફોર્મ રહેશે. દરેક પ્લેટફોર્મ ઉપર એલઇડી ટીવી મારફતે બસ રૂટ દર્શાવવામાં આવશે. RO પ્લાન્ટ, કેન્ટીન :- મુસાફરોને ડેપોમાં પીવાના પાણી માટે ચોખ્ખું અને શુદ્ધ પાણી મળી રહે માટે આરો પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. ચા પાણી અને જમવા સુધીની સુવિધા માટે કેન્ટીન પણ બની છે. બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ :સૌથી વધુ ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહન પાર્ક કરવા માટે બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. જેમાં અંદાજે 2700 જેટલા નાના મોટા વાહનો પાર્કિંગ થઈ શકશે. પાર્કિંગના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંને અલગ અલગ હશે. આકર્ષક કંટ્રોલ પોઇન્ટ :કંટ્રોલ પોઇન્ટમાં એક સાથે પાંચથી વધુ મુસાફરો પૂછપરછ કરી શકે માટે સ્ટાફ સાથેનો આકર્ષક કંટ્રોલરૂમ હશે. મુસાફરી વિદ્યાર્થી પાસ માટે અલગ કાઉન્ટર વ્યવસ્થા હશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:38 pm

ડાંગ પોલીસે યુવતીને બદનામ કરનાર સાયબર ગુનેગારને ઝડપ્યો:ફેક આઈડી બનાવી અશ્લીલ પોસ્ટ કરનાર આરોપી પકડાયો

ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે એક મહત્વપૂર્ણ સાયબર સ્ટોકિંગનો ગુનો સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. એક યુવતીના ફેક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી બનાવી, તેના ફોટા અને અશ્લીલ તસવીરો પોસ્ટ કરીને બદનામ કરનાર આરોપીને સાયબર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ અને ડાંગ-આહવાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સાયબર ફ્રોડ અને ઑનલાઇન ગુનાઓ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. આશ્વત પોર્ટલ પર મળેલી અરજીની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી યુવતીના ફોટાનો દુરુપયોગ કરીને ફેક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી બનાવ્યા હતા. આ આઈડી પર અશ્લીલ પોસ્ટ્સ અને સ્ટોરીઝ દ્વારા યુવતીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ સોર્સ અને એડવાન્સ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ કરી તેને પકડી પાડ્યો. પકડાયેલા આરોપીનું નામ પરેશભાઇ મંગુભાઇ કંહાડોળીયા (ઉંમર 25 વર્ષ, રહે. પીપલપાડા, ઉપલું ફળીયુ, તા. ધરમપુર, જી. વલસાડ) છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 12,000ની કિંમતનો મોબાઇલ ફોન મુદ્દામાલ તરીકે કબજે કર્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. પટેલના નેતૃત્વ હેઠળ એ.એસ.આઇ. જીગનીશા બેન સહદેવભાઇ, પોલીસ કોસ્ટેબલ વિજયભાઇ યશવંતભાઇ, પોલીસ કોસ્ટેબલ આશાબેન વેલજીભાઇ, આઇ.ટી. એક્સપર્ટ ભરતભાઇ ચંપકભાઇ ગાવિત અને GRD અંજનાબેન જયેશભાઇ પટેલની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી. ડાંગ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી આઈડી કે લિંકથી દૂર રહેવું. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:38 pm

લક્ઝરી બસમાં પરિણીતા પર બળાત્કાર કેસ:આરોપી કાકાને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા, નજીકના સંબંધીએ વિશ્વાસનો ભંગ કરી ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યો

વર્ષ 2018ના ચકચારી કેસમાં સુરતની સેશન્સ કોર્ટે એક પરિણીતા પર લક્ઝરી બસના સ્લીપર કોચમાં ત્રણવાર બળાત્કાર ગુજારનારા આરોપી કાકાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનારના પિતાએ પોતાના સગા ભાઈ પર વિશ્વાસ મૂકીને પરિણીતાને રાજકોટ મૂકવા મોકલેલ અને તે વિશ્વાસનો ભંગ કરીને આરોપીએ આ ગંભીર કૃત્ય આચર્યું હતું. ભત્રીજીને બારીમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપીને ત્રણવાર બળાત્કાર ગુજાર્યોકેસની વિગત અનુસાર, વર્ષ 2018માં લીંબાયત વિસ્તારમાં રહેતો આરોપી કાકો પોતાના ઘરે આવેલી પરિણીત ભત્રીજીને લક્ઝરી બસમાં રાજકોટ મૂકવા જઈ રહ્યો હતો. રસ્તામાં, બસના સ્લીપર કોચમાં આરોપીએ ભત્રીજીને માર મારીને અને બારીમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપીને ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ રાજકોટ પહોંચ્યા બાદ આ અંગે પોતાના પરિવારને જાણ કરી હતી, જેના પગલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પરિણીતા તાબે ન થતાં આરોપીએ તેને માર માર્યો હતોસરકાર તરફે મદદનીશ સરકારી વકીલ વિશાલ ફળદુએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી કે, નજીકના સંબંધીએ જ વિશ્વાસઘાત કરીને બળાત્કાર ગુજાર્યો હોય, ત્યારે તેને કડક સજા થવી જ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરિણીતા તાબે ન થતાં આરોપીએ તેને માર માર્યો હતો, જેના કારણે તેણીને મોંઢાના ભાગે ઇજા થઈ હતી. બસનું ટાયર કોઈ ખાડામાં પડ્યું હોયબચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, પરિણીતાને જે ઇજા થઈ હતી તે બસનું ટાયર ખાડામાં પડવાથી થઈ હતી. જોકે, સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાહેદોના નિવેદન બાદ એ વાત સાબિત થઈ ન હતી કે, બસનું ટાયર કોઈ ખાડામાં પડ્યું હોય. કોર્ટે બચાવ પક્ષની આ દલીલને અમાન્ય ગણીને આરોપીને દોષિત ઠેરવ્યો હતો. પુરાવાના કાયદા પર કોર્ટની મહત્ત્વની નોંધAPP વિશાલ ફળદુએ ભારતીય પુરાવા અધિનિયમની કલમ-113(એ)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર પોતે પોતાના સોગંદ પરના પુરાવામાં તેણીની સંમતિ વગર આરોપીએ શારીરિક દુષ્કર્મ આચરેલ હોવાના પુરાવા આપતા હોય એવા સંજોગોમાં આ કલમ મુજબનું અનુમાન તેણીની તરફેણમાં થાય છે, જેના ખંડનની જવાબદારી આરોપી પક્ષ પર રહે છે. કોર્ટે આ સિદ્ધાંતને સ્વીકારીને પોતાના હુકમમાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, આરોપી તેના પર લાગેલા આરોપોનું ખંડન કરી શક્યો નથી. નજીકના સંબંધી દ્વારા જ આચરાયેલા વિશ્વાસઘાત અને ગંભીર ગુના બદલ કોર્ટે આરોપી કાકાને 10 વર્ષની સજા સંભળાવીને પીડિતાને ન્યાય અપાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:35 pm

PGVCL નાયબ ઇજનેર, વચેટિયો ₹20 હજાર લાંચ લેતા પકડાયા:સોલાર કંપની પાસેથી મીટર લગાવવા માટે માંગી હતી લાંચ, ACBએ કરી કાર્યવાહી

મોરબીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ PGVCL ના નાયબ ઇજનેર અને એક વચેટિયાને ₹20,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સોલાર પેનલ લગાવતી કંપની પાસેથી ઇલેક્ટ્રિક મીટર સમયસર લગાવવા અને હેરાનગતિ ન કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી એક કંપનીએ બે સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા હતા. આ પ્લાન્ટ્સમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા અને ભવિષ્યમાં કોઈ હેરાનગતિ ન થાય તે માટે PGVCL ના નાયબ ઇજનેર દ્વારા ₹20,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. કંપનીએ લાંચ આપવાની ના પાડતા ACB નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB એ મોરબીમાં PGVCL કચેરી નજીક છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં નાયબ ઇજનેર મનીષભાઈ અરજણભાઈ જાદવ વતી લાંચની રકમ સ્વીકારતા વચેટિયા પ્રવીણભાઈ નાનજીભાઈ માકાસણાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. વચેટિયાની ધરપકડ બાદ ACB ટીમે નાયબ ઇજનેર મનીષભાઈ અરજણભાઈ જાદવની પણ ધરપકડ કરી હતી. ACB એ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:35 pm

અધિક જીલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:ગાંધીનગર સેક્ટર-30 સ્મશાનથી ચરેડી ચોકડીનો માર્ગ 11 મહિના માટે બંધ, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

પાટનગર યોજના વિભાગ-1 હેઠળ સ્મશાનથી GEB થઈ ચરેડી ચોકડી તરફ જતા માર્ગના વાઈડનિંગ અને નવીનીકરણની કામગીરી શરૂ થવા જઈ રહી છે. આ કામગીરીને પગલે માર્ગ પર અકસ્માત ન થાય અને ગુણવત્તાયુક્ત કામ થાય તે હેતુથી ગાંધીનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સેક્ટર 30 સ્મશાનથી ચરેડી ચોકડીનો માર્ગ 11 મહિના માટે બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 11 મહિના માટે બંધ રાખી ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુંગાંધીનગર સેક્ટર-30 સ્મશાનથી ચરેડી ચોકડીનો માર્ગ 11 મહિના માટે બંધ રાખી ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જીલ્લા મેજિસ્ટ્રેટનો આ પ્રતિબંધિત હુકમ તા. 8/11/2025ના સવારના 6 કલાકથી તા. 7/6/2026ના રાત્રિના 24 કલાક સુધી એટલે કે આશરે 11 મહિનાના સમયગાળા માટે લાગૂ રહેશે. પાટનગરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા સ્મશાનથી ચરેડી ચોકડી તરફ જતા માર્ગ પર 11 મહિના સુધી ટ્રાફિકનું ડાયવર્ઝન અમલમાં રહેશે. આ નિર્ણય પાટનગર યોજના વિભાગ-1 હેઠળ ફોર લેઈન આર.સી.સી. રોડના વાઈડનિંગ અને નવિનીકરણની કામગીરી માટે લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. વાહનચાલકોને લાંબા ડાયવર્ઝન રૂટને કારણે સમયનો વ્યય થવાની સંભાવનાસ્મશાનથી થર્મલ પાવર સ્ટેશનના ગેટ સુધીનો મુખ્ય માર્ગ તમામ વાહનો માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. ભારે વાહનોને મુખ્યત્વે રોડ નં. 7 તરફ વળવું પડશે, જે ચ-7, ઘ-7 સર્કલ અને રેલવે ફાટક મારફતે ચરેડી અને પેથાપુર તરફ જઈ શકશે. આ 11 મહિનાના લાંબા ગાળા દરમિયાન, સેક્ટર-30 સર્કલ પર ટ્રાફિકનું ભારણ અને વાહનચાલકોને લાંબા ડાયવર્ઝન રૂટને કારણે સમયનો વ્યય થવાની સંભાવના છે. જોકે, જી.ઈ.બી. વસાહત અને કંપનીના કર્મચારીઓ તેમજ ઇમર્જન્સી વાહનો માટે ચરેડી ચોકડી તરફથી અને સ્મશાન સુધીના રોડ પર સેક્ટર-30 સર્કલથી નાના વાહનોની અવર-જવર ચાલુ રહેશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર. શર્મા (જી.એ.એસ.) દ્વારા જાહેર કરાયેલા આ હુકમનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ અધિનિયમની કલમ-135 ની પેટા કલમ-3 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:25 pm

વાહનચોરીનો ભેદ ઉકેલ્યો:ભાવનગર LCBએ 2 સ્કૂટર ચોરીનો ભેદ ઉકેલ્યો, બે આરોપી ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 80,000ની કિંમતના બે ચોરાયેલા સ્કૂટર જપ્ત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર LCBની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, બે વ્યક્તિ સિંધી કેમ્પ ગુરુદ્વારા સામે રોડ પર નંબર પ્લેટ વગરના કાળા અને બ્લુ રંગના સુઝુકી એક્સેસ સ્કૂટર સાથે ઊભા છે. આ સ્કૂટર ચોરીના હોવાની શંકા હતી. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હરપાલસિંહ દિલીપસિંહ ગોહિલ ઉ.વ.20, રહે.અધેવાડા અને પાર્થરાજસિંહ દિગ્વીજયસિંહ ચૌહાણ ઉ.વ.19, રહે.ચિત્રા ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે સ્કૂટરના રજિસ્ટ્રેશન બુક કે અન્ય કોઈ આધાર ન હોવાથી, પોલીસે બંને સ્કૂટર શંકાસ્પદ મિલકત તરીકે કબજે કર્યા હતા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જણાવ્યું કે પ્રથમભાઈ રમેશભાઈ કનાડા રહે.શિવનગર, તળાજા રોડ, ભાવનગર એ તેમને બંને સ્કૂટર આપ્યા હતા. ત્યારબાદ હરપાલસિંહે કાળા કલરનું એક્સેસ સ્કૂટર પાર્થરાજસિંહને આપ્યું હતું. પોલીસે કુલ રૂ. 80,000ની કિંમતના બે સુઝુકી એક્સેસ સ્કૂટર જપ્ત કર્યા છે, આ અંગે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓને વધુ તપાસ માટે નીલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસે બે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:21 pm

વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી નહીં લડી શકે:મહેસાણા સેશન કોર્ટે કન્વિક્શન મોકૂફ રાખવાની અરજીને ફગાવી, સાગરદાણ કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે

સાગરદાણ કેસ મામલે પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મહેસાણા સેશન કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ચૌધરી દ્વારા કરવામાં આવેલી કન્વિક્શન મોકૂફ રાખવાની અરજીને ફગાવી દીધી છે જેથી હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડી નહીં શકે. આ અરજી વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી લડવા માટે રાહત મેળવવાના હેતુથી દાખલ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીની ચૂંટણી લડી નહીં શકેઅગાઉ સાગરદાણ કેસમાં વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને કાયદા મુજબ બે વર્ષ કે તેથી વધુની સજા પામેલ વ્યક્તિ કોઈ પણ ચૂંટણી લડી શકતી નથી. આ મામલે સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂક કરી હતી. ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટ સમક્ષ કન્વિક્શન સ્ટે નહીં કરવા માટે સખત રજૂઆત કરી હતી. અંતે મહેસાણા સેશન કોર્ટે સ્ટેની અરજી ફગાવી દેતાં વિપુલ ચૌધરી હવે દૂધસાગર ડેરીની ચૂંટણી લડી શકશે નહીં.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:20 pm

જૂનાગઢ મુક્તિ દિવસની પૂર્વ તૈયારીઓ:9 નવેમ્બરે 8.6 KMની 'યુનિટી માર્ચ'નો CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રારંભ,બહાઉદીન કોલેજથી સરદાર ચોક સુધી સંકલ્પ યાત્રા યોજાશે, જુનાગઢ રોશની થી જગમગ્યુ

જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતાના મહાપર્વ તરીકે ઉજવાશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના વિશેષ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.જુનાગઢના મુખ્ય રસ્તાઓ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 9 નવેમ્બરના રોજ જૂનાગઢની મુલાકાત લઈને 86-જૂનાગઢ વિધાનસભા બેઠકથી 'યુનિટી માર્ચ પદયાત્રા'નો પ્રારંભ કરાવશે. 9 નવેમ્બર એ જૂનાગઢનો મુક્તિ દિવસ છે. આ ઉપરાંત, 12 નવેમ્બર, 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢની મુલાકાત લઈને બહાઉદીન કોલેજમાં ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું, જેણે જૂનાગઢને માતૃભૂમિમાં જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલના આ ગૌરવશાળી જોડાણને ઉજાગર કરવા અને તેમના રાષ્ટ્રીય એકતાના યોગદાનને બિરદાવવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ ઉજવણી માત્ર સરકારી ન રહેતા લોક કાર્યક્રમ બની રહે તે માટે સરકારી તંત્ર, સંગઠનો અને સંસ્થાઓ સંયુક્ત રીતે કાર્ય કરી રહ્યા છે.​ વિવિધ કાર્યક્રમ અને પદયાત્રાનું આયોજન 9 નવેમ્બરના રોજ સવારે 6:00 થી 6:30 કલાકથી જ કાર્યક્રમમાં જોડાવા માટે લોકોનું આગમન શરૂ થઈ જશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 7:30 કલાકે બહાઉદીન કોલેજના મેદાનમાં આરઝી હકૂમત સ્મારક સ્તંભ ખાતે પૂજન કરશે. ત્યારબાદ તેઓ સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને મેદાનમાં તૈયાર કરાયેલ સરદાર પટેલ પ્રદર્શનીની ઝાંખી નિહાળશે.મુખ્યમંત્રી બહાઉદીન કોલેજના દરવાજા પાસેથી 8.6 કિલોમીટર લાંબી 'યુનિટી માર્ચ પદયાત્રા' ને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવશે.આ ભવ્ય પદયાત્રા બહાઉદીન કોલેજથી શરૂ થઈને મોતીબાગ, સરદારબાગ, એસટી રોડ થઈને સરદાર ચોક જીમખાના સુધી યોજાશે.​ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની વિવિધ સમિતિઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગો બાદ ગઈકાલે અને આજે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પણ અધિકારીઓની બેઠકો યોજાઈ હતી. યાત્રાના સમગ્ર રૂટ પર 19 સ્થળોએ અભિવાદન પ્લેટફોર્મ તૈયાર કરી દેવાયા છે.બહાઉદીન કોલેજ સહિતની ઐતિહાસિક ઇમારતોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ઝાંસીની રાણી સર્કલ પર સ્વદેશી મેળાના સૂચિત આયોજન સાથે સુશોભન કરવામાં આવ્યું છે, જે સ્વદેશી અપનાવવાના સંકલ્પને ઉજાગર કરશે.આ પદયાત્રા દરમિયાન રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરવા, 'એક ભારત શ્રેષ્ઠ ભારત', 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના સંકલ્પો લેવાશે. કલેક્ટરે બેઠકોમાં પદયાત્રામાં જોડાનાર સંસ્થાઓ, યુવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનો અંગે સંકલન, યાત્રા દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ, રૂટ પર સુશોભન, અભિવાદન પ્લેટફોર્મની વ્યવસ્થા, મુખ્ય કાર્યક્રમ અને પ્રદર્શનનું આયોજન, 8 નવેમ્બરના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાનું વ્યવસ્થાપન, વિવિધ સંગઠનો સાથે મીટિંગ, તેમજ મહાનગરપાલિકા, પોલીસ સહિતના લાઇન ડિપાર્ટમેન્ટ્સના આયોજન, અને વિવિધ પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા કક્ષાએ યુવા વિકાસ અધિકારીની કચેરી કરી રહી છે. આ બેઠકોમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, મેંદરડા પ્રાંત અધિકારી પ્રતીક જૈન અને જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.​ આ રાષ્ટ્રીય એકતાના મહાપર્વમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો, આરઝી હકૂમતના લડવૈયાઓના પરિવારો અને યુવાનોને મોટી સંખ્યામાં જોડાઈને સરદાર પટેલના યોગદાનને યાદ કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:16 pm

મ્યુ.કોર્પોરેશનનું સુધારાત્મક પગલું:ગાંધીનગરના વાવોલ, ઉવારસદ અને કોલવડાની વિવાદાસ્પદ બનેલી બે ટી.પી. સ્કીમને સુધારા સાથે સરકારમાં ફરી રજૂ કરાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વાવોલ, ઉવારસદ અને કોલવડા વિસ્તારના આયોજન માટે મહત્ત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-34 અને સ્કીમ નંબર-35ને સુધારા સાથે રાજ્ય સરકારમાં પુનઃ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અગાઉ સરકાર તરફથી આ બંને ટી.પી. સ્કીમ અંગે વિચારણા હાથ ધરાઈ હતી પરંતુ, સ્થાનિક જમીન માલિકો તથા રાજકીય સ્તરે વ્યાપક ફરિયાદો ઊઠી હતી. જેના પગલે જુલાઈ 2025માં ટી.પી. સ્કીમ 34 અને ટી.પી. સ્કીમ 35ને પરત મોકલવામાં આવી હતી. 2024માં બે ટી.પી. સ્કીમ સરકારમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવી હતીગાંધીનગરના વાવોલ, ઉવારસદ તથા કોલવડાનો અંદાજીત 372 હેક્ટર જમીનમાં નગર રચનાનું આયોજન કરવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ વર્ષ 2024માં બે ટી.પી. સ્કીમ સરકારમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવી હતી. જુલાઇ 2025માં સરકાર દ્વારા પુનઃ મંજૂરી અર્થે સાદર કરવાનો આદેશ અપાયો હતો. જેના પગલે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી ઓગસ્ટ મહિનામાં નગર રચના પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ સ્કીમ વિસ્તારમાં યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યુંમહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા તાત્કાલિક ધોરણે સરકારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-34 અને 35ને મંજૂરી અર્થે પુનઃ સાદર કરવા માટે ઠરાવવામાં આવ્યુ હતું. આ નગર રચનાના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે રસ્તાઓનું બૃહદ નેટવર્ક, સામાજીક અને આર્થિક લોકો માટે હાઉસિંગની જમીનો અને આધુનિક શહેરીકરણમાં જરૂરી માળખાગત સુવિધા સારું ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટીએ તમામ ફેસિલિટી મળી રહે તે અર્થે જરૂરી સામાજિક માળખાકીય સુવિધા માટેના અનામત પ્લોટોનું સમગ્ર ટાઉન પ્લાનિંગ સ્કીમ વિસ્તારમાં યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યોજના વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા જમીનધારકો ઉપર યોજનાના ખર્ચનું ભારણ ઓછામાં ઓછું કરી શકાય તે અર્થે કાયદાની જોગવાઈ મુજબ સેલ્ફ ફોર કોમર્શીયલ (SFC) અને સેલ્ફ ફોર રેસિડેન્સીયલ(SFR)ના પ્લોટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-35માં કુલ-63 જેટલા અંતિમખંડો જાહેર હેતુ માટે રાખવામાં આવ્યો છે. જે પૈકી 13 જેટલા પ્લોટો રહેણાંક હેતુ માટે તથા 11 જેટલા વાણિજ્ય વેચાણ અર્થે સત્તામંડળને પ્રાપ્ત થનાર છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-35માં 18 જેટલા પ્લોટોનું આયોજનજ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-34માં કુલ-96 જેટલા અંતિમખંડો જાહેર હેતુ માટે રાખવામાં આવેલ છે. જે પૈકી 10 જેટલા પ્લોટો રહેણાંક હેતુ સારું તથા 8 જેટલા વાણિજ્ય વેચાણ સારું સત્તામંડળને પ્રાપ્ત થનાર છે.આ નગર રચના યોજનાઓમાં શહેરી વિકાસ યોજનાના ભાગ સ્વરૂપે તેમજ સરકારના ગ્રીન શહેરીકરણની નીતિઓને ધ્યાને લઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-34માં અંદાજીત 1 લાખ ચો.મી. જમીન બગીચા અને અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ સિવાય ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-35માં અંદાજીત 44 હજાર ચો.મી. જમીન બગીચા અને અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ નગર રચના યોજનાઓમાં આધુનિક ફાયનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર શહેરીજનોને ઉપલબ્ધ કરવા સારું ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-34માં 41 જેટલા પ્લોટો અને ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-35માં 18 જેટલા પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:06 pm

ડોલરના નામે 10 લાખની છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા:સુરેન્દ્રનગર LCBએ 2.72 લાખ રોકડ સાથે આરોપીઓને લીંબડીથી પકડ્યા

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોલરના નામે થયેલી રૂ. 10 લાખની છેતરપિંડીનો અનડિટેક્ટેડ ગુનો ઉકેલી કાઢ્યો છે. LCB એ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા રૂ. 2,72,000 રોકડા કબજે કર્યા છે. પોલીસ હેડ કોન્સ્સ્ટેબલ અજયસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે, લીંબડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ડોલર દ્વારા છેતરપિંડી કરીને મેળવેલા રૂ. 2,72,000 રોકડા મળી આવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી બાદ તેમને લીંબડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં હરેશ શેખલીયા, રાજુ સાથળીયા અને સુરેશ શેખલીયાનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે હવે ડિટેક્ટ થયો છે. આરોપી હરેશ શેખલીયા લીંબડી અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. આરોપી રાજુ સાથળીયા પણ લીંબડી અને ચોટીલા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. આ ઉપરાંત, તેણે આશરે દોઢેક માસ પહેલા બરવાળા ખાતે નડિયાદની એક પાર્ટી સાથે રૂ. 1,60,000ની ડોલર દ્વારા છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે. આરોપી સુરેશ પણ લીંબડી પોલીસ સ્ટેશન અને ચોટીલા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીઓનો ગુનો કરવાનો એમ.ઓ. (મોડસ ઓપરેન્ડી) એવો હતો કે, તેઓ પ્રથમ ભોગ બનનારને વિશ્વાસમાં લેતા. તેમને સસ્તા ભાવે સો ડોલરની નોટો આપવાની વાત કરતા અને શરૂઆતમાં એક અસલી સો ડોલરની નોટ બતાવી વિશ્વાસ કેળવતા. ગુનો કરતી વખતે, તેઓ ડોલરના બંડલની ઉપર અને નીચે સો ડોલરની નોટો રાખીને આખું બંડલ સો ડોલરનું હોવાનું જણાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 9:01 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:હેમુ ગઢવી હોલ પાસે બાઈક સ્લીપ થતા બંધ ગાડી સાથે અથડાયું સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું

રાજન સુરેશભાઈ મકવાણા (ઉં.વ.19) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ ફોર વ્હીલ પાછળ બાઈક અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી દરમ્યાન વહેલી સવારે 4 વાગ્યાં આસપાસ તેમણે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજન બે ભાઈમાં મોટો હતો અને તે વિજય પ્લોટમાં જ પોતાના ઘર નજીક આવેલ એક કારખાનામાં નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે પોતાના મિત્ર સાથે બાઈક ઉપર આંટો મારવા નીકળ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મૂર્ઘા અને પેંડા ગેંગના ચાર મકાનોમાંથી ગેરકાયદે વીજ જોડાણ રદ કરાયા રાજકોટ શહેરમાં ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ મંગળા મેઈન રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે સામસામે થયેલ અંધાધૂંધ ફાયરિંગ ઘટના બાદ ભક્તિનગર પોલીસ ટીમે પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી જંગલેશ્વર વિસ્તારમાં રાખી વોન્ટેડ કુખ્યાત રમાના પુત્ર એવા મુરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલા જુણેજા અને કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા ફાયરીંગના ગુનામાં પકડાયેલા પેંડા ગેંગના ભયલા ગઢવી સહિત પાંચ શખસોના મકાનોમાં ગેરકાયદેસર લગાવાયેલા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. સરકારે નામચીન ગુનેગારોના મકાનો પાડી દેવાના આદેશ કર્યા બાદ રાજકોટ પોલીસે જંગલેશ્વરમાં રહેતા સુત્રધાર સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આજીડેમમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મોત બ્રિજેશ પુરસોત્તમ રાય (ઉં.વ.20) ગઈકાલે સાંજે પોતાના સાથી શ્રમિકો અને મિત્રો સાથે આજીડેમમાં ન્હાવા ગયો હતો જ્યાં ન્હાતી વખતે પાણીમાં ડૂબવા લાગ્યો હતો તેને પાણીમાંથી બહાર કાઢતા બેભાન થઈ ગયો હતો બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ સ્થળ પર પહોંચી બ્રિજેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મજૂરી કામ કરતો હોવાનું અને તે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. હાલ આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કેસમાં બે આરોપીના જામીન મંજૂર રાજકોટ શહેરમાં રહેતા મોહસીન રસીદ મુલતાનીએ પોતાના અને અન્ય લોકોના નાણાની ઠગાઈ થયેલ હોઈ જેથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ બ્લોક ઓરા કંપનીના નામે ટી.એ.બી.સી. નામના કોઈનનું લિસ્ટીંગ કરાવી ઊંચું વળતર મળશે તેવી લોભ-લાલચ આપી 62 લોકો પાસેથી 4 કરોડ રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરી હતી જે કેસમાં પોલીસે મહંમદ મીઠાણી અને અમઝદ મુલતાનીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા મેળવ્યા હોવાનું અને રોકાણકારોને પૈસા પરત આપ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જેલમાં બંધ બંને આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી જેમાં આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આક્ષેપો ગંભીર પ્રકારના છે માટે આક્ષેપોને સમર્થન આપે તેવા પુરાવાઓની ઉપસ્થિતિ હોવી જરૂરી છે. જો કે ફરિયાદને સમર્થન આપતા પુરાવા મળી આવેલ નથી માટે જામીન આપવા જોઈએ જેથી કોર્ટે આરોપી તરફે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીના જામીન મંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:52 pm

મનપાનો ઇનોવેટિવ પ્રયાસ, વહેલું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ:ભાવનગર મનપા તરફથી 2026-27ના બજેટ માટે શહેરીજનો પાસેથી ઇનોવેટિવ સૂચનો મંગાવાયા

ભાવનગર મહાનગર પાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવતી હોવાથી વહેલું બજેટ બનાવવાનું હોય, તે માટે શહેરીજનો પાસેથી વર્ષ 2026-27ના બજેટમાં સમાવેશ કરવા માટે ઇનોવેટિવ સૂચનો મંગાવવામાં આવ્યા છે. જે તારીખ 20 નવેમ્બર સુધી શહેરીજનો સૂચનો મોકલી શકશે અને આ સૂચનો પોસ્ટકાર્ડમાં લખી બંધ કવરમાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસ ખાતે આપવાના રહેશે. લોકો વધુમાં વધુ સૂચનો આપવા અનુરોધ કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતીઆગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવતી હોય અને વહેલું બજેટ બનાવવાનું હોવાથી વર્ષ 2026-27ના બજેટમાં લોકોના લોક સુખાકારી માટે સંસ્થાઓ અને શહેરીજનો પાસે સૂચનો મંગાવામાં આવ્યા છે. જે તારીખ 20 નવેમ્બર સુધી શહેરીજનો ઇનોવેટિવ સૂચનો મોકલી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાના વર્ષ 2024-25માં બજેટ બનાવવામાં આવ્યું હતું, તેમાં મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રથમ વખત શહેરીજનો પાસેથી ઇનોવેટિવ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં શહેરની 11 સંસ્થાઓ અને શહેરીજનોએ કુલ 71 સૂચનો મોકલ્યા હતા, જેની અંદર મોર્ડન સ્કૂલ હોય ,વેજીટેબલ માર્કેટ હોય, વ્હોટ્સએપ બોર્ડ હોય , ડિસ્પ્લે બોર્ડ હોય અને એન્ટ્રી પોઇન્ટના લગતા સૂચનો હોય આવા અનેક પ્રકારના સૂચનો શહેરીજનોએ મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 17 સૂચનો વર્ષ 2024-25ના મહાનગરપાલિકાના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 17 સૂચનો બજેટની અંદર મૂકવામાં આવ્યા હતાઆ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે બજેટ બનતું હોય છે. દર વર્ષે ફેબ્રુઆરી માસમાં બજેટ બની જનરલ બોર્ડની અંદર પાસ કરીને આગામી વર્ષના કામમાં લેવાતા હોય છે. ગયા વર્ષે અમે ઇનોવેટિવ આઇડિયા અપનાવીને લોકોના સૂચનોનો આ બજેટમાં સમાવેશ થાય, એની માટે પ્રેસના માધ્યમથી જાણ કરી સૂચનો મંગાવ્યા હતા. જેમાં 11 સંસ્થાઓ અને શહેરીજનોએ ભાગ લઈ આશરે 71 જેટલા સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 સૂચનો બજેટની અંદર મૂકવામાં આવ્યા હતા જેની અંદર મોર્ડન સ્કૂલો , વેજીટેબલ માર્કેટ, વ્હોટ્સએપ બોર્ડ, ડિસ્પ્લે બોર્ડ, એન્ટ્રી પોઇન્ટ આવા અનેક પ્રકારના સૂચનો બજેટની અંદર મૂકવામાં આવ્યા હતા. લોકો સૂચનો આપશે એ આગામી બજેટમાં સમાવેશ કરીશુંજેમાં ગત વર્ષે જે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. તે 17 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 17 કામો પ્રોગ્રેસમાં છે. અમુક કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને બાકીના કામો કોઈના ટેન્ડર થયા છે કોઈના કામ ચાલુ છે આ પ્રકારના વિવિધ જે લોકોની સુખાકારી માટે થઈને જે કામો છે તે પૂર્ણ કરવાની અમારી તૈયારી છે અને હજુ પણ જે લોકો સૂચનો આપશે એ વાયેબલ સૂચનો અમે આગામી બજેટમાં સમાવેશ કરીશું અને લોકોની સુખાકારીમાં વધારો કરીશું. અને વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે પણ મીડિયાના માધ્યમથી લોકો પાસેથી નવા વર્ષનું બજેટ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે વહેલું બજેટ બનાવવાનું હોય તો અત્યારે લોકો પાસેથી વિકાસ લક્ષી કામો માટે મુખ્યત્વે રોડ રસ્તા સિવાયના જે સૂચનો હશે અને ઇનોવેટિવ સૂચનો હશે એ સૂચનો આપવા માટે ભાવનગરના નગરજનોને અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:41 pm

ગર્ભ પરીક્ષણ કરનાર શિવાય હોસ્પિટલના માલિક સહિત lત્રણની ધરપકડ:ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન બાદ તવાઈ, 'ગર્ભ પરીક્ષણ' ખોટું પડે તો 5 લાખ પાછા આપવાની ચેલેન્જ આપતા

ગર્ભ પરીક્ષણ જેવો ભયાનક ગુનો હવે નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અત્યાર સુધી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, પણ હવે ઘરે આવીને ગર્ભ પરીક્ષણ કરવાની સાથે ગેરંટી આપવામાં આવે છે એટલું જ નહીં તેમાં ખોટા પડે તો પાંચ લાખ રૂપિયા લઇ જવાની ચેલેન્જ આપી રહ્યાં છે. આવા લેભાગુ તબીબો આટલેથી અટકતા નથી, પરંતુ ગર્ભ પરીક્ષણ બાદ તમારે ગર્ભપાત કરાવવો હોય તો તેની પણ સુવિધા કરી આપવાનો ધંધો ધમધમી રહ્યો છે. સુરતની શિવાય હોસ્પિટલના ડોક્ટર છેક બારડોલી સુધી ગર્ભ પરીક્ષણ કરવા નાનકડું મશીન લઈને જાય છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ભાસ્કરમાં સ્ટીંગ થયા બાદ હોસ્પિટલમાં રેડ કરી ડોક્ટરોની ટોળકી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બાબતે વરાછા પોલીસ દ્વારા હોસ્પિટલના માલિક, બે ડોક્ટર અને એક નર્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હોસ્પિટલના માલિક અને બે ડોક્ટરોની ધરપકડ પણ કરી લીધી છે, જ્યારે નર્સને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. આવા તબીબોથી સાવધ રહેવા દિવ્ય ભાસ્કરે સ્ટિંગ કર્યું હતુંસુરતની લંબે હનુમાન રોડ પર આવેલી શિવાય મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલના તબીબ હોવાનું કહેતા મિતેશ ધોરાજીયા નામના વ્યક્તિ સાથે વાત કરી, તેણે બારડોલી ઘરે આવીને તપાસ કરવાની તૈયારી બતાવી. પણ તેનો ચાર્જ રૂપિયા 20,000 નક્કી કર્યો. આ તબીબ પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીન ( આ મશીનના ઉપયોગ પર કડક નિયંત્રણ છે ) સાથે લઇને ઘરે આવ્યા અને અને મહિલાના ગર્ભ પરીક્ષણની તૈયારી કરી. ત્યાં આયોજન મુજબ એક ઘરના મોભી આવે છે અને તબીબને કહે છે.. કે ભાઇ હાલમાં અમારે કઈ કરવું નથી .જે આવશે તે માન્ય છે અમારે પરીક્ષણ કરાવવું નથી અને વાત પડતી મૂકી.. પણ સુરતથી આવેલા તબીબે આ બાબતે તેઓ પાસે 10,000 ફી વસુલી અને જણાવતા ગયા કે પહેલાથી ચોક્કસ નિર્ણય લેવાનો, કારણ વગર તમારે ફી ચુકવવી ન પડે... સરકારની આંખમાં ધુળ નાખીને ધીકતો ધંધો કરનારા તબીબોને ઉઘાડા પાડી સમાજને આવા તબીબોથી સાવધ રહેવા દિવ્ય ભાસ્કરે સ્ટિંગ કર્યુ હતું. કથિત તબીબ સાથે મોબાઇલ પર થયેલી વાતચીતના અક્ષરશ: અંશો કથિત તબીબ ઘરે આવ્યા પછી ભાસ્કર અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચીતના અંશો હોસ્પિટલની સાધન સામગ્રીની તપાસ કરવામાં આવી હતીઆ તમામ બાબતે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ચાર દર્દીઓના લેખિતમાં નિવેદન, હોસ્પિટલના માલિક અને સ્ટાફ અને ડોક્ટર જીગ્નેશ કથીરિયાના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આ સાથે હોસ્પિટલની સાધન સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જ્યાં તમામ સામગ્રી અને દવાઓ પણ મળી આવી હતી. આ તમામના આધારે શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના માલિક રામગોપાલ શ્રી કિશન ખંડેલવાલ, તબીબ મિતેશ કાંતિભાઈ ધોરાજીયા, હોસ્પિટલના RMO ડોક્ટર મિલન ચીમનભાઈ સોડાગર અને નર્સ કલ્પનાબેન પવાર સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય તબીબની ધરપકડ કરવામાં આવીજિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલની ટીમે શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી અને તમામ પ્રકારનું નિરીક્ષણ કર્યા બાદ તમામ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના માલિક કથિત ડોક્ટર મિતેશ અને હોસ્પિટલના RMO ડોક્ટર મિલનને લઈને વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેથી વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કલ્પનાબેનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 'અલ્ટ્રાસાઉન્ડ મશીનનું કદ ટેબ્લેટ જેટલું નાનું હોય છે'પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતું અલ્ટ્રાસાઉન્ડ મશીન હવે નવી ટેક્નોલોજીથી પોર્ટેબલ ( ગમે ત્યાં લઇ જવાય એવું) હોય છે. આ મશીનનું કદ ટેબ્લેટ જેટલું નાનું હોય છે. તેમાં વાયરલેસ પ્રોબ (સેન્સર) સાથે જોડાયેલી સિસ્ટમ હોય છે. આ મશીન ખરીદતા પહેલા હેલ્થ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડે છે. સાથે દર મહિને હેલ્થ ડિપાર્ટમેન્ટને તેનો રિપોર્ટ આપવાનો હોય છે અને તેનું રજિસ્ટ્રર પણ મેઇન્ટેઇન કરવું પડતું હોય છે. એટલુ જ નહિં હોસ્પિટલમાંથી તેને અન્ય સ્થળે લઇ જવું હોય તો પણ હેલ્થ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી ફરજિયાત છે. શિવાયમાં ગર્ભ પરિક્ષણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતીDCP આલોક કુમાર સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં CDHOની ટીમે, PC PNDT એક્ટ હેઠળ એપ્રુવ્ડ ઓથોરિટી છે, તેણે અહીં એક રેડ કન્ડક્ટ કરી. જેમાં તેમણે શિવાઈ હોસ્પિટલ જે લંબે હનુમાન રોડની પાસે છે, ત્યાંની એવી બાતમી હતી કે અહીંયા ગર્ભ પરીક્ષણ થાય છે જે ગેરકાયદેસર છે. ભારતીય ન્યાયના હિસાબે જ્યાં ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું છે, ત્યાં CDHOની ટીમે રેડ કરી. હાલ, આમાં ત્રણ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. વરાછા પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ થઈ છે. PNDT એક્ટ હેઠળ અને આમાં જે મશીનની રિકવરી કરી છે તેનાથી આ ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું હતું, તે હજી રિકવર નથી થઈ. તે મશીનની રિકવરી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કાયદાનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા સંચાલક સામે FIRજિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે, શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદેસર પીસીપીએનડીટી એક્ટ હેઠળનો ભંગ થતો હતો. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના જે નિયમો છે એનું પાલન નહોતું થતું, અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે આ હોસ્પિટલની અમારી ટીમ અને હું સાથે જઈને અચાનક ત્યાં તપાસ ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. એ ઇન્સ્પેક્શનમાં કાયદાઓનો ભંગ થતો હોય એ જણાતા, અમે ત્યાંના જે સંચાલક છે, જે રામગોપાલ ખંડેલવાલ કરીને, અને જેના નામની જે હોસ્પિટલ રજીસ્ટ્રેશન છે, પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન, ડોક્ટર દિગ્નેશ કથરિયા અને ત્યાં એક ડોક્ટર મિલન અને અન્ય સિસ્ટર અને અન્ય ચારથી પાંચ પેશન્ટો હતા, એમનું સૌનું નિવેદન લેતા, એ કાયદાકીય ભંગ થતો હોય એ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવી હતી અને એમના અગેન્સ્ટમાં વરાછા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:35 pm

BAPS વડા મહંત સ્વામી મહારાજ જામનગર પધાર્યા:કલાત્મક રંગોળીઓ રચીને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું, મહંત સ્વામી મહારાજે નવા વર્ષના આશીર્વાદ આપ્યા

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ ગોંડલમાં દિવાળી અને અન્નકૂટ ઉત્સવ બાદ જામનગર પધાર્યા છે. તેઓ છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરને આંગણે આવ્યા હતા. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તેમનું આગમન થયું હતું. બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી તથા ધજા ફરકાવી તેમનું સ્વાગત કર્યું હતું. ભક્તોએ કલાત્મક રંગોળીઓ રચીને ગુરુહરિનું સ્વાગત કર્યું હતું. ઠાકોરજીના દર્શન કર્યા બાદ મહંત સ્વામી મહારાજ સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જામનગર, ખંભાળિયા, ભાણવડ અને જામજોધપુર સહિતના વિસ્તારોમાંથી હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કોઠારી ધર્મનિધિ સ્વામી અને અન્ય સંતોએ તેમને હારતોરા પહેરાવી સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે સેંકડો સંતો અને હજારો હરિભક્તોએ નિર્જળા, સજળા ઉપવાસ, ધારણા-પારણા વ્રત તેમજ ભાવતી વસ્તુઓનો ત્યાગ જેવા તપ-વ્રત કર્યા હતા. તપ ઉપરાંત, હજારો ભક્તોએ લાખો માળા, પ્રદક્ષિણા, દંડવત્, પંચાંગ પ્રણામ, શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલિ પાઠ જેવા ભક્તિ કાર્યક્રમો દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. જામનગરના ભક્તોની સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈને મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. તેમણે જણાવ્યું કે, અહીં આવીને અમને ખૂબ આનંદ થયો છે. આપ સર્વેની સેવા અને ભક્તિ અદ્ભુત છે અને તે ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે. જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ છે. આગામી દિવસોમાં મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:31 pm

મહિલા ફાર્માસિસ્ટનો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:સુરતમાં પતિ સાથે કોઈક વાતને લઇ થયેલા ઝઘડાનું માઠું લગાડી આપઘાતનું પગલું ભર્યું, ત્રીજા માળેથી પટકાતા અન્ય મહિલાનું મોત

સુરતના મહીધરપુરા વિસ્તારમાં રહેતી ફાર્માસિસ્ટએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ-પત્ની વચ્ચે કોઈક વાતને લઇ ઝઘડો થયો હતો. જે વાતનું માઠું લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન છે. જયારે અન્ય એક બનાવમાં અમરોલી ખાતે શ્રી રામનગર સોસાયટીમાં ત્રીજા માળે રહેતી પરિણીત મહિલાને ઘરની ગલેરીમાં કપડા સૂકવતી વેળાએ ચક્કર આવતા નીચે પટકાતા મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં હિન્દુ મેઘવાડ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કાલિવાડા કતારગામ કાસાનગરમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં પ્યુન તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. દિલીપભાઈની પત્ની દક્ષાબેન (ઉ.વ.34) વસ્તાદેવડી રોડ પર આવેલ એક મેડિકલમાં ફાર્મસી તરીકે નોકરી કરતા હતા. દક્ષાબેન ગુસ્સાવાળા સ્વભાવના હતા અને તેઓને નાની નાની વાતોમાં ખોટું લાગી જતું હતું. ગઈકાલે પતિ-પત્ની વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો થયો હતો. જે વાતનું માઠું લાગી આવતા દક્ષાબેને રાત્રે ઘરે છતમાં લગાવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.આ બનાવ અંગે વધુ આગળની તપાસ મહીધરપુરા પોલીસ કરી રહી છે. અન્ય એક બનાવમાં, મૂળ ઉત્તરપ્રદેશ અને અમરોલી વિસ્તારમાં આવેલ શ્રી રામનગર સોસાયટીમાં રહેતા સૂર્યપ્રકાશ સિંગ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરી પત્ની ખુશ્બુ (ઉ.વ.38) અને બે પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરે છે. ખુશ્બુને છેલ્લા બે ત્રણ દિવસથી તાવ, ઉલટી અને ચક્કર આવતા હતા. આજે બપોરે ખુશ્બુ ઘરના ત્રીજા માળે ગલેરીમાં કપડા સુકવતી હતી. ગેલેરી પકડા સૂકવત્તા સમયે ખુશ્બૂને ચક્કર આવતા નીચે પટકાઈ હતી. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી. ખુશ્બુ ના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ બનાવ અંગે વધુ આગળની તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:29 pm

ભરૂચમાં રખડતા ઢોરનો ત્રાસ:બાઈક પર જઈ રહેલી મહિલા પર ગાયે હુમલો કર્યો, સ્થાનિકોએ માંડ માંડ મહિલાનો જીવ બચાવ્યો

ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી રોડ પર ગાયના હુમલાના બે અલગ-અલગ બનાવો બન્યા હતા, જેમાં એક બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રથમ ઘટનામાં, એક ગાય અચાનક દોડી આવતા બાઇક પર સવાર એક મહિલા રોડની બાજુમાં પટકાઈ હતી. આસપાસના લોકોએ ગાયને હટાવી મહિલાને બચાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં એક ગાય વાહનચાલકો પાછળ દોડવા લાગી હતી. શ્રવણ ચોકડી પાસે એક બાઇકચાલકને ગાયે પટકાવ્યો હતો. અન્ય એક કિસ્સામાં, HDFC બેંક સામે બાઇક પર બાળક સાથે ઊભેલા પિતા પર ગાયે હુમલો કર્યો હતો, જેમાં બંને પટકાયા હતા. તેમને બચાવવા આવેલા એક લારીધારકને પણ ઈજા થઈ હતી. ચોમાસાની શરૂઆતથી શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓનો અડિંગો વધી ગયો છે. પાલિકાએ થોડા સમય માટે પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી, પરંતુ હાલ તે બંધ છે. શ્રવણ ચોકડીથી પાંચબત્તી સુધીના ત્રણ કિલોમીટર લાંબા રોડ પર, ખાસ કરીને શક્તિનાથ અને સેવાશ્રમ રોડ પર શાકમાર્કેટ નજીક, રખડતા પશુઓનો ત્રાસ વધુ જોવા મળે છે. માનદ વન્યપ્રાણી સંરક્ષક આશિષ શર્માના જણાવ્યા અનુસાર, ગાયના હિંસક વર્તન પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વાછરડું ખોવાઈ જાય ત્યારે ગાય આક્રમક બની શકે છે. ઉપરાંત, કોઈ રંગ, અવાજ અથવા અચાનક ગતિથી પણ તે ભડકી શકે છે. ટોળાથી અલગ પડેલી ગાય અચાનક દોટ મૂકી દે છે. રખડતા પશુઓના હુમલાથી બચવા માટે તેમની નજીક જવાનું ટાળવું જોઈએ. પશુઓના ટોળા નજીકથી પસાર થતી વખતે હોર્ન ન મારવો અને ફટાકડા કે મોટા અવાજથી તેમને ચોંકાવવા ન જોઈએ, કારણ કે આવા અવાજો અને રંગો ગાય અથવા આખલાને હુમલાખોર બનાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:10 pm

સંસારનો મોહ ત્યાગી 13 મુમુક્ષુઓ સંયમના માર્ગે નીકળ્યા:પિતાની અધૂરી ઇચ્છા પૂર્ણ કરવા માતાએ પુત્રને સાથ આપ્યો, મરાઠી યુવતીએ દીક્ષા ગ્રહણ કરી

સુરતના પાલ ખાતે 'રોમે રોમે પરમ સ્પર્શ નગરી' નામથી ધર્મ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરૂભગવંતની નિશ્રામાં સંસારના તમામ સુખોનો ત્યાગ કરીને 13 દીક્ષાર્થીઓએ ભગવતી જૈન દીક્ષા ગ્રહણ કરી છે. 500થી વધુ સંતો અને 29 હજારથી વધુ શ્રાવક-શ્રાવિકાઓના માનવ મહેરામણની વચ્ચે આ આયોજન એક ભવ્ય ધર્મોત્સવ બની રહ્યો હતો. 500થી વધુ સંતોની હાજરીમાં ભવ્ય વરઘોડો નીકળ્યોદીક્ષાર્થીઓ અને સમગ્ર જૈન સમુદાય માટે આ અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ હતી. કારણ કે તેમને ભક્તિ યોગાચાર્ય યશોવિજયસૂરિજી મહારાજના હસ્તે પવિત્ર રજોહરણ પ્રદાન થયું. દીક્ષા પૂર્વે દીક્ષાર્થીઓનો વરઘોડો પાલના માર્ગો પર નીકળ્યો, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. 500થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો સહિત સુરતનો સમગ્ર જૈન સમુદાય આ મંગલ ઘડીનો સાક્ષી બન્યો હતો. આ દીક્ષા મહોત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહોતો, પરંતુ તે ત્યાગની પરાકાષ્ઠા અને આત્મકલ્યાણની ભાવનાનું પ્રતિક હતું. આ 13 મુમુક્ષુઓના જીવનની ગાથાઓ સંસારના લોકોને વિચારતા કરી દે તેવી છે, જેમાં યુવાનો અને પરણેલા લોકો પણ સંયમના માર્ગે વળ્યા છે. પિતાની અધૂરી ઇચ્છા પૂર્ણ કરવા પુત્ર અને માતાની એકસાથે દીક્ષાસાત વર્ષ પહેલાં અસ્થમાની બીમારીથી મૃત્યુ પામેલા સ્વર્ગસ્થ સુભાષભાઈ જૈનની અંતિમ ઇચ્છા હતી કે તેમનો દીકરો રાહુલ દીક્ષા લે. રાહુલને પહેલેથી દીક્ષાનો ભાવ હતો, પરંતુ પિતાની આ ઇચ્છાથી તેનો ભાવ વધુ પ્રબળ બન્યો. ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ રાહુલે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું. દીકરાના આ સંકલ્પમાં માતા રંજનબેન પણ સહભાગી બન્યા અને બંનેએ એકસાથે દીક્ષા ગ્રહણ કરીને પિતૃઋણ અને ધર્મઋણ અદા કર્યું. મરાઠી પરિવારની દીકરી વૃષ્ટિએ સંયમનો માર્ગ અપનાવ્યોવૃષ્ટિ મૂળ મરાઠી પરિવારમાંથી આવે છે, પરંતુ જૈન દીક્ષા પ્રત્યેના ઊંડા ભાવે તેને સંયમનો માર્ગ અપનાવવા પ્રેરિત કરી. પિતાની ગેરહાજરીમાં ઘરની સંપૂર્ણ જવાબદારી તેમના પર હતી, પરંતુ જ્યારે તેમની નાની બહેને ઘરની જવાબદારી સંભાળી લેવાની ખાતરી આપી, ત્યારે વૃષ્ટિ માટે સંયમનો માર્ગ મોકળો થયો. એક અલગ સંસ્કૃતિમાંથી આવીને જૈન સંયમ સ્વીકારવો એ ધર્મ પ્રત્યેની તેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. માતા-પિતાની સેવા પર ધર્મને પ્રાધાન્ય આપનાર ભવ્ય મહેતાભવ્ય રાજેશભાઈ મહેતા તેમના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તેના પર માતા-પિતાની સેવા કરવાનો સંકલ્પ અને જીવનભર તેમની જવાબદારી ઉઠાવવાનું કર્તવ્ય હતું. એક તરફ દીક્ષાનો પ્રબળ ભાવ હતો અને બીજી બાજુ માતા-પિતાની સેવા હતી. આવા ધર્મસંકટના સમયે ભવ્યના માતાએ દીક્ષા લેવા માટેની અનુમતિ આપી, જેનાથી ભવ્ય સંયમ પથ પર પ્રયાણ કરી શક્યો. ભૌતિક સુખોનો ત્યાગ એ જ સાચી વીરતાદીક્ષા મહોત્સવ નિમિત્તે આચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, આજે દરેક વ્યક્તિના હાથમાં સમગ્ર દુનિયા છે. આંગળીના ટેરવે બધું જ પામી શકે છે. આર્થિક રીતે કોઈને જરા પણ કમી નથી. ભૌતિક સુખો અકલ્પનીય હોવા છતાં પણ આવા સમયે દીક્ષાનો ભાવ થવો, બધું છોડીને સંયમનો માર્ગ અપનાવવો તે આજના સમયની ખૂબ જ મોટી બાબત છે. આ મુમુક્ષુઓએ સાબિત કરી દીધું છે કે, આત્માની શાંતિ સર્વશ્રેષ્ઠ છે અને વીતરાગ ધર્મ જ સર્વોચ્ચ માર્ગ છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:05 pm

વડોદરાના સિનિયર સિટીઝન સાથે ઠગાઇ:બેંક કર્મચારીની ઓળખ આપી ઠગે વૃદ્ધાના 91.10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા, FD પાકી હોવાથી રૂપિયા ટ્રાન્સફર કરાવવાના બહાને ઠગાઇ કરી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાએ બેંકમાં 20 લાખ રૂપિયાની FD કરાવી હતી. જે રકમ પાકી ગઇ હોવાથી ઉપાડવાની હતી. આ દરમિયાન ઠગે બેંક કર્મચારીની ઓળખ આપીને તેમના રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહીને આધારકાર્ડ અને ડેબિટકાર્ડ માંગ્યા હતા, ત્યારબાદ તેમના 91.10 લાખ રૂપિયા અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી, જેથી વૃદ્ધાએ આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. ઠગે બેંક કર્મચારીની ઓળખ આપીને વૃદ્ધા પાસેથી રૂપિયા પડાવ્યાવડોદરા શહેરના અકોટા વિસ્તારમાં 87 વર્ષના વૃદ્ધા રહે છે, તેમના પતિનું વર્ષ 2014માં નિધન થયું હતું. તેઓ લંડનમાં સરકારી ડોક્ટર હતા. તેમણે વર્ષ 2024માં રૂપિયા 20 લાખની FD કરાવી હતી. 11 ઓક્ટોબરના રોજ તેમની FDના 20.10 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા થયા હતાં. આ નાણા અન્ય બેંક એકાઉન્ટ નંબરમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવાના હતા. જેથી વૃદ્ધાએ 20 ઓક્ટોબરના રોજ ઓનલાઇન ગૂગલ પર બેંકનો કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો અને તે નંબર પરથી ફોન કર્યો હતો. આધારકાર્ડ અને ડેબીટ કાર્ડ ઓનલાઈન મોકલ્યા ને ફસાયાસામેથી વ્યક્તિએ પોતાનું નામ અભિષેક જણાવ્યું હતું અને તે બેંકના કસ્ટમર સર્વિસમાંથી વાત કરે છે તેમ જણાવ્યું હતું, જેથી વૃદ્ધાએ કહ્યું હતું કે, તેમના બેંકમા રહેલા નાણા અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા છે, ત્યારબાદ વૃદ્ધાનો ફોન કોલ ફોરવર્ડ કરી આપ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાના દરેક ફોન ફોરવર્ડ થવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે વૃદ્ધાનું આધારકાર્ડ માગ્યું હતું. જેથી આધારકાર્ડ અને ડેબીટ કાર્ડ ઓનલાઈન મોકલી આપ્યા હતા. બંને બેંકના ખાતામાંથી 91.10 લાખ રૂપિયા ચાઉં કર્યાત્યારબાદ ભેજાબાજોએ મોબાઇલ હેક કરીને તેમના બંને બેંકના ખાતામાંથી ગત ઓક્ટોબર મહિના દરમિયાન 91.10 લાખ રૂપિયા બારોબાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને વૃદ્ધા સાથે છેતરપીંડી કરી છે. જેથી વૃદ્ધાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:01 pm

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ:7 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

ભારત દેશમાં તારીખ 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સુરત શહેરની અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમ દ્વારા એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક મહિના સુધી કેન્સર ની જાગૃતિ અને કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 નવેમ્બર થી 6 ડિસેમ્બર,2025 સુધી સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં આ કેમ્પ યોજાશે. ભારત દેશ કેન્સરના બનાવોમાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને કેન્સરથી થતા મૃત્યુદરમાં બીજા ક્રમે છે. આજ ના સમય માં લગભગ દરેક ચોથા પરિવારને તેનો સામનો કરવો પડે છે.સમયસર ચકાસણી આ બીમારી ની સામે એક મજબૂત અને મોટો હથિયાર બને છે.જેથી આ ગંભીર બીમારી વિષે લોકોમાં હજી જાગૃતિ લાવવાની ખુબજ જરૂરિયાત છે. એક નિશ્ચય, મેળવીએ કેન્સર પર વિજય અભિયાન અંતર્ગત અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ત્રણ નિષ્ણાત સર્જન ડોક્ટર મિશાલ શાહ, ડોક્ટર સોહમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલની દેખરેખ હેઠળ આ કેમ્પ એક મહિના સુધી ચાલશે. આ કેમ્પમાં દર્દીઓને ખાસ રાહતદરે કેન્સર ની સ્ક્રીનિંગ આપવામાં આવશે. સેન્ટર ખાતે અદ્યતન HIPEC, PIPAC, માઇક્રોસ્કોપિક અને લેસર સર્જરી સાથે 3D અને 4K લેપ્રોસ્કોપી સિસ્ટમ તથા ICG મોનેટરીંગ ટેક્નોલોજી થી સજ્જ છે, જે દરેક દર્દીઓ માટે ચોકસાઈ,સુરક્ષા અને વર્લ્ડ ક્લાસ સર્જીકલ પરિણામોની ખાતરી આપે છે. અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ડૉ. મિશાલ શાહએ જણાવ્યું હતું કે “જ્યારે કેન્સર સમયસર પકડાય છે ત્યારે તે સંપૂર્ણ રીતે સારવાર યોગ્ય હોય છે. આ અભિયાન ફક્ત લોકોમાં સમયસર ચકાસણી માટે જાગૃતા લાવવા માટે છે. અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ડૉ. સોહમ પટેલએ જણાવ્યું હતું કે, માત્ર જાગૃતિ છે જે કેન્સર સામેની પ્રથમ રક્ષા છે. દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવી જોઈએ. અગસ્ત્ય ઑન્કોલોજી મેડિકલ ટિમના ડૉ. મૃદુલ પટેલએ જણાવ્યું હતું કે, અમે દક્ષિણ ગુજરાતમાં વિશ્વસ્તરની કેન્સર સર્જરી ની સુવિધા પ્રદાન કરી રહ્યા છે જેથી હવે સુરત અને આસ - પાસ વિસ્તારના લોકોને સારવાર માટે દૂર જવું નહીં પડશે. આ કેમ્પમાં વાપી થી તાપી સુધી ના લોકો આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 8:01 pm

'રોગચાળાના સાચા આંકડા છુપાવીને પોતાને મૂર્ખ બનાવો છો':અમદાવાદમાં વધતા રોગચાળાના કારણે AMC કમિશનર આરોગ્ય અધિકારી પર રોષે ભરાયા

અમદાવાદ શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકી પર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની રોષે ભરાયા હતા. શહેરમાં વધતા જતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા સહિતના કેસોના આંકડાને લઈને કમિશનરે સવાલ કર્યો હતો કે, તમે રોગચાળાના સાચા આંકડા છુપાવીને તમારી જાતને મૂર્ખ બનાવો છો. શહેરમાં અંદાજે 80 લાખની વસ્તીમાં કોલેરા, કમળો, ડેન્ગ્યુના આટલા ઓછા કેસ હોઈ શકે છે? આંકડાકીય વિગતોને લઈ હંમેશા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી આંકડા છુપાવતા હોવાને લઈ આડે હાથ લીધાં હતા. તમારો સ્ટાફ ફિલ્ડમાં જઈને કામગીરી કરતો નથીસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનરે રીવ્યુ બેઠક દરમિયાન શહેરમાં રોગચાળાના આંકડાને લઈને આરોગ્ય વિભાગના અધિકારીને પૂછ્યું હતું કે, તમે ફક્ત AMCના આરોગ્ય અધિકારી છો કે સમગ્ર શહેરના છો? મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ શહેરમાં શું કામગીરી કરે છે. તમારો સ્ટાફ ફિલ્ડમાં જઈને કામગીરી કરતો નથી. રોગચાળા માટે શહેરના હાઈ રિસ્ક એરિયા ધરાવતા વિસ્તારોમાં કેટલાં સેમ્પલ લેવાયા? શહેરના હાઈ રિસ્ક એરિયામાં શા માટે એડવાન્સમાં કામગીરી કરાતી નથી? નાની- મોટી હોસ્પિટલોમાંથી રોગચાળાના કેસો અંગેની વિગતો પણ લેવા સુચનારાજ્યના સૌથી મોટા શહેરમાં આટલા ઓછા રોગ શાળાના આંકડાને જોઈને તેઓએ કહ્યું હતું કે રાજ્યના અન્ય કોઈપણ શહેરમાં આટલી ઓછી સંખ્યામાં કમળો, ડેન્ગ્યુ કે મેલેરિયાના કેસ હોતા નથી. ખાનગી હોસ્પિટલમાં નોંધાતા ડેન્ગ્યુ, મેલેરિયા, કમળા સહિતના રોગના આંકડા પણ રિપોર્ટમાં સામેલ કરવા સૂચના અપાઈ હતી. AMC અને સરકારી હોસ્પિટલો ઉપરાંત શહેરની નાની- મોટી હોસ્પિટલોમાંથી પણ રોગચાળાના કેસો અંગેની વિગતો પણ લેવા માટેની અધિકારીને સુચના આપી હતી. પ્રેસ નોટ મારફતે રોગચાળાના આંકડા દર્શાવીને શહેરમાં બધુ કાબૂ હોવાના દાવા કર્યા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકી ને આડે હાથ લીધા બાદ તાત્કાલિક ધોરણે અધિકારીને રોગ શાળાના અને ત્રણ વર્ષમાં થયેલા કેસો તેમજ કરેલી કામગીરી આપવાની યાદ આવી હતી અને તેઓએ પ્રેસ નોટ મારફતે રોગચાળાના આંકડા દર્શાવીને શહેરમાં બધુ કાબૂ હોવાના દાવા કર્યા હતા. જ્યારે પણ રીવ્યુ બેઠક થતી હતી ત્યારે રોગચાળા મામલે આરોગ્ય વિભાગના અધિકારી ઇજનેર વિભાગ પર દોષનો ટોપલો ઢોળીને પોતાનો બચાવ કરતા હતા. પાણીજન્ય કેસો ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં થતા હોવાથી ત્યાં ઇજનેર વિભાગ દ્વારા કામગીરી કરવી તેવી વાતો કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં પણ ક્લોરિનેશન કરવા માટે સૂચના આપીજોકે રોગચાળાના આંકડા છુપાવવાને લઈને તેઓને કમિશનરે આડે હાથ લઈ લીધા હતા. રીવ્યુ બેઠક દરમ્યાન ઓઢવ સ્મશાનગૃહમાં અંતિમવિધિમાં ટાયર, ગોદડાંનો ઉપયોગની ચર્ચા વેળા શહેરના સ્મશાનગૃહોમાં ચાલતી ગેરરીતિ અંગે પણ તમને ખ્યાલ આવતો નથી ? એમ પણ કહ્યું હતું. શહેરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં પણ ક્લોરિનેશન કરવા માટે સૂચના આપી હતી. તેમજ ડ્રેનેજ બેકિંગના પ્રશ્નો હોય તો તેનો પણ નિકાલ કરવા જણાવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારી એસી ઓફિસમાં બેસીને આંકડા નક્કી કરતા હોવાની ચર્ચાઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન રોગજાળામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નાના મોટા દવાખાના અને હોસ્પિટલોમાં પણ તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઈડ, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કોલેરા સહિતના કેસો નોંધાય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ સમગ્ર આંકડા છુપાવીને શહેરમાં રોગચાળો કાબુ હોવાના દાવા કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈવ હોય છે પરંતુ આરોગ્ય વિભાગના અધિકારી એસી ઓફિસમાં બેસીને રોગચાળાના આંકડા નક્કી કરી રહ્યા હોવાની ચર્ચા છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:58 pm

Editor's View::ઈરાને ટ્રમ્પને કહ્યું- આ બૈલ મુઝે માર; ખામેની US સાથે હાથ મિલાવવા તૈયાર પણ 3 તોતિંગ શરતો મૂકી, ચીની જહાજ કેમ ઈરાન પહોંચ્યા?

થોડા મહિનાઓ પહેલાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ વડા અયાતુલ્લા અલી ખામેનીને લેટર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે હાથ મિલાવવા તૈયાર છે. આપણે સમજૂતી કરી લઈએ. ખામેની જાણે છે કે અમેરિકાનો ભરોસો કરવા જેવો નથી. એમાંય ટ્રમ્પનો તો ખાસ નહિ. ખામેનીએ ત્યારે તો કાંઈ જવાબ ન આપ્યો પણ હવે છેક જવાબ આપ્યો કે જો અમેરિકાને ઈરાન સાથે સમજૂતી કરવી હોય તો ત્રણ શરત છે. નમસ્કાર, ટ્રમ્પ હંમેશાં જમીનથી બે ફૂટ ઊંચા ચાલે છે. હંમેશાં ઘમંડથી ભરેલા રહે છે. ટ્રમ્પે ખામેનીને કહી દીધું, શરત-બરત નહિ. સમજૂતી કરવી હોય તો કરો. બીજી તરફ ઈરાન તેના ન્યુક્લિયર અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ ચાલુ રાખે છે. હમણાં જ યુરોપીયન ઈન્ટલિજન્સનો રિપોર્ટ આવ્યો તેમાં એવું લખવામાં આવ્યું છે કે ચીનથી 10 શિપ ઈરાન પહોંચી છે જેમાં બેલેસ્ટિક મિસાઈલ માટેનું સોલિડ ફ્યુલ છે. ટૂંકમાં, ઈરાન આમ ભલે નાનો દેશ રહ્યો પણ છે રાઈના દાણા જેવો. હકીકતમાં થયું'તું એવું કે 46 વર્ષ પહેલાં અમેરિકા સાથે બનેલી એક ઘટનાની વર્ષગાંઠ ઉજવવા ઈરાનના સર્વોચ્ચ વડા ખામેનીએ એક કાર્યક્રમ ગોઠવ્યો હતો. તેમાં તેમણે અમેરિકા સામે ત્રણ શરતો મૂકી. ઈરાન-અમેરિકા વચ્ચેના વર્તમાન ઘટનાક્રમને જાણતાં પહેલાં થોડો ઈતિહાસ જાણવો જરૂરી છે... 46 વર્ષ પહેલાં શું બન્યું હતું? 4 નવેમ્બર 1979ની સવાર... એટલે કે આજથી બરાબર 46 વર્ષ પહેલાં. ઇરાનમાં આવેલા અમેરિકી દૂતાવાસમાંથી વ્હાઇટ હાઉસમાં ફોન ગયો. ઈરાનસ્થિત અમેરિકી દૂતાવાસની પોલિટિકલ ઓફિસર એલિઝાબેથ સ્વિફ્ટે હાંફતાં હાંફતાં કહ્યું- હુમલો થઈ ગયો છે. ભીડ દીવાલ કૂદીને દૂતાવાસની અંદર ઘૂસી રહી છે અને દૂતાવાસ પર ગમે ત્યારે કબજો થઈ શકે છે. એલિઝાબેથના છેલ્લા શબ્દો હતા- 'વી આર ગોઇંગ ડાઉન'. અહીંથી શરૂ થઈ ઇતિહાસની સૌથી મોટી 'હોસ્ટેજ ક્રાઇસિસ'. બપોરે 12 વાગ્યે ને 20 મિનિટે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ. દૂતાવાસનો મુખ્ય દરવાજો તોડી નાખવામાં આવ્યો. સ્વિફ્ટે વોશિંગ્ટનને છેલ્લો કોલ કર્યો. થોડી વાર પછી દુનિયાએ ટીવી સ્ક્રીન પર એ દૃશ્ય જોયું, જેણે અમેરિકાને પૂરી રીતે હચમચાવી દીધું. ટીવીમાં દેખાતા હતા આંખો પર પટ્ટી બાંધેલા અને હાથ પાછળ બાંધેલા અમેરિકી દૂતાવાસના અધિકારીઓ. ઈરાનના સૈનિકોએ અમેરિકાના દૂતાવાસમાં ઘૂસીને પહેલાં તો 66 જેટલા અમેરિકી કર્મચારીઓને બંધક બનાવ્યા. પછી કેટલાકને છોડી દીધા ને છેલ્લે 53 બંધકો રહ્યા. પછી શું થયું? હકીકતે ઈરાનમાં ત્યારે સર્વોચ્ચ વડા હતા મોહમ્મદ રઝા શાહ. તેના બદલે ખામેનીને રાજા બનવું હતું. અયાતુલ્લા અલી ખામેનીએ તેના સમર્થકો પાસે બળવો કરાવ્યો ને મોહમ્મદ રઝા શાહ ભાગીને અમેરિકા જતા રહ્યા. અમેરિકાનું નાક દબાવવાથી રઝા શાહ ફરી ઈરાન આવશે, એવું માનીને ઈરાનમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને બંધક બનાવાયા. અમેરિકામાં ત્યારે રાષ્ટ્રપતિ હતા જિમી કાર્ટર. તેણે રઝા શાહને ઈરાન ન મોકલ્યા પણ ઈરાનનું નાક દબાવ્યું. તમામ સંપત્તિઓ, બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા. ખામેનીએ અમેરિકાને ધમકી આપી કે, શાહને ઈરાન પાછા મોકલો તો જ બંધકોને છોડીશું. પછી થયું એવું કે 20 જુલાઈ, 1980ના રોજ ઈરાન-ઈરાક યુદ્ધ શરૂ થયું, જેનાથી ઈરાનની સ્થિતિ નબળી પડી. હવે ઈરાન માટે બંધક સંકટને સમાપ્ત કરવું એક જરૂરિયાત બની ગયું હતું, જેથી તે યુદ્ધ પર ધ્યાન આપી શકે. આ તરફ નવેમ્બર 1980માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ. જિમી કાર્ટર હાર્યા ને રોનાલ્ડ રીગન રાષ્ટ્રપતિ બન્યા. રીગન રાષ્ટ્રપતિ બન્યા ને ખામેનીએ તેમની સાથે વાત કરી. રોનાલ્ડ રીગને શપથ લીધાના 20 મિનિટમાં જ ઈરાને 53 બંધકોને છોડી દીધા. જોકે અમેરિકાએ શાહ મોહમ્મદ રઝા પહલવીને ઈરાનને ક્યારેય પરત ન કર્યા.અમેરિકાએ થોડો સમય તેમની સારવાર ન્યૂયોર્કમાં કરાવી, પણ ડિસેમ્બર 1979માં અમેરિકાએ શાહને ચૂપચાપ દેશ છોડી દેવા કહ્યું, જેથી તણાવ વધુ ન વધે. આ પછી રઝા શાહ પનામા અને પછી ત્યાંથી ઈજિપ્ત ચાલ્યા ગયા. 444 દિવસ પછી આ સંકટ સમાપ્ત થયું, પરંતુ તેણે અમેરિકા-ઈરાન સંબંધોને એવા ખાડામાં ધકેલી દીધા, જે આજે પણ સંપૂર્ણ રીતે પુરાઈ શક્યા નથી. ખામેનીએ અમેરિકા સામે 3 શરતો મૂકી ઈરાને જે દિવસે અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને બંધક બનાવ્યા હતા તેની વર્ષગાંઠ ઉજવવા ખામેનીએ સ્કૂલના બાળકોને ભેગા કર્યા હતા. તેમાં ઘણા ઈરાની નાગરિકો પણ પહોંચ્યા હતા. ખામેનીએ ઈરાનમાં ભાષણ આપ્યું તેના થોડા કલાકો પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે ઈરાન અમેરિકા સાથે સમજૂતી કરવાની કોશિશ કરે છે. ટ્રમ્પે CBS ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઈરાન અમેરિકાની નજીક આવવાનો પ્રયાસ કરે છે. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્રમ્પના આ દાવાને તરત જ ફગાવી દીધો હતો. આ સમારોહમાં ખામેનીએ કહ્યું કે ઈરાન અમેરિકા સાથે સમજૂતી કરવા તૈયાર છે પણ 3 શરતો છે. ખામેનીએ કઈ 3 શરતો મૂકી? ખામેનીએ અમેરિકાને અહંકારી દેશ ગણાવ્યો ખામેનીએ કહ્યું કે અમેરિકાનો અહંકારી સ્વભાવ આત્મસમર્પણ સિવાય કાંઈ સ્વિકાર કરતો નથી. બધા અમેરિકી રાષ્ટ્રપતિ એવું જ ઈચ્છતા કે અમેરિકાના ઘૂંટણિયે પડી જાવ. અગાઉના રાષ્ટ્રપતિઓ એવું કહેતા નહિ પણ તેમના મનમાં તો એવું જ હતું. હવે વર્તમાન રાષ્ટ્રપતિ તો આવું સ્પષ્ટ કહે છે. અમેરિકા એવું વિચારે છે કે ઈરાન આત્મસમર્પણ કરી દે તો અમેરિકા ખાંડ ખાય છે. અત્યારે અમેરિકાએ મૂકેલા વિચાર પર કોઈ નિર્ણય લેવાશે નહિ. અમેરિકાની સાથે સમજૂતી કરવી કે નહિ તે પછી જોશું. ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ હાથ બોળી લીધા'તા બધાને યાદ હશે કે 4 મહિના પહેલાં ઓગસ્ટ-2025માં ઈઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. અમેરિકાને થયું કે ઈરાન પરમાણુ હથિયારો બનાવ્યા કરે છે. માનતું નથી. આ તક છે. ઈરાન પર હુમલો કરવાની. ટ્રમ્પે મુનીરને લંચ માટે બોલાવી પટાવી લીધા. અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઈરાન તરફ જઈને ઈરાન પર હુમલો કર્યો. અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર ફેસેલિટી પર હુમલો કર્યો અને તેના કારણ દુનિયાભરમાં સન્નાટો થઈ ગયો. અમેરિકાએ ઈઝરાયલ-ઈરાનના યુદ્ધમાં હાથ બોળી લીધા ને ઈરાન પર દાવ કાઢી લીધો. જોકે પછી તો ઈરાન ઢીલું ડફ થઈ ગયું. ટ્રમ્પે CBS ન્યૂઝને એ વખતે કહેલું કે અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા તેમાં તેની ન્યૂક્લિયર સાઈટ્સ તબાહ થઈ ગઈ છે. અમેરિકાએ હુમલો કર્યા પછી ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે નુકસાન વધુ મોટું છે. ઈમારતો નષ્ટ થઈ ગઈ છે. અમારા ડિવાઈસીસ અને મશીનો નષ્ટ થઈ ગયા છે. પણ ટેકનોલોજી નષ્ટ નથી થઈ. ટેકનોલોજીની માસ્ટરીને બોમ્બથી મારી ન શકાય. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝશકિયાંએ તાજેતરમાં જ ન્યુક્લિયર ફેસેલિટીની મુલાકાત લીધી હતી. પછી તેમણે એવું કહ્યું હતું કે જે ન્યુક્લિયર ફેસેલિટી પર હુમલા થયા તેને ફરીવાર બનાવવી સંભવ છે. ટૂંકમાં અમેરિકા-ઈરાન નજીક આવવાનો માત્ર દેખાડો જ કરે છે. જ્યાં સુધી ખામેની સત્તામાં છે ત્યાં સુધી ઈરાન અમેરિકા સામે સમજૂતીનો હાથ નહિ જ લંબાવાય. ચીનના 10 જહાજો મિસાઈલનો સામાન લઈને ઈરાન પહોંચ્યા હમણાં જ યુરોપીયન ઈન્ટેલિજન્સનો રિપોર્ટ મીડિયા સામે આવ્યો. તેમાં એવું લખ્યું છે કે ચીનના 10 મોટા જહાજ ઈરાનના મહત્વના બંદર ગણાતા અબ્બાસ પોર્ટ પર 29 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર વચ્ચે પહોંચ્યા છે. આ જહાજમાં એ વિસ્ફોટક સામાન છે જેમાંથી ઈરાન બેલેસ્ટિક મિસાઈલ બનાવે છે. આ કેમિકલ છે સોડિયમ પરક્લોરેટ. આમાંથી એમોનિયમ પરક્લોરેટ બનાવાય છે. આ પદાર્થ બેલેસ્ટિક મિસાઈલમાં સોલિડ ફ્યૂલ તરીકે ઉપયોગમાં આવે છે. આ 10 જહાજમાં 2000 ટન સોડિયમ પરક્લોરેટ છે જે ઈરાને ચાઈનીઝ સપ્લાયર્સ પાસેથી ખરીદ્યું છે. આટલા જથ્થામાંથી 500 જેટલી બેલેસ્ટિક મિસાઈલનું સોલિડ ફ્યૂલ બની શકે છે. યુનાઈટેડ નેશન્સે જે લિસ્ટ બનાવ્યું છે જેમાં એવા સામાનની હેરાફેરી પર પાબંદી છે જેમાંથી મિસાઈલ જેવા સ્ફોટક હથિયારો બનતા હોય. જેમ કે એમોનિયમ પરક્લોરેટ. તેના વેપાર પર વિશ્વભરમાં પ્રતિબંધ છે. પણ આ લિસ્ટમાં સોડિયમ પરક્લોરેટનું નામ નથી. સોડિયમ પરક્લોરેટમાં કેટલાક તત્વો મિક્સ કરીને એમોનિયમ પરક્લોરેટ બની શકે છે અને તેનો સીધો ઉપયોગ મિસાઈલમાં થઈ શકે છે. યુરોપીયન ઈન્ટલિજન્સના રિપોર્ટમાં લખ્યું છે કે ઈરાન તરફ જઈ રહેલા જહાજોમાં ચાઈનીઝ જહાજો ટ્રેક થયા છે. ઉપરાંત આ ચાઈનીઝ જહાજો પાસે IRG (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ)ના સૈનિકો પણ જોવા મળ્યા છે. ટૂંકમાં, અમેરિકા ગમે તેટલી ધમકી આપે, ઈરાન સખણું રહે તેમ નથી. છેલ્લે, ઈરાનના સર્વોચ્ચ વડા અયાતુલ્લા અલી ખામેની ટ્રમ્પને સીધો મેસેજ આપી શકે તેમ છે કે હું અમેરિકાના 9 રાષ્ટ્રપતિ જોઈ ચૂક્યો છું પણ હું તો સાડાચાર દાયકાથી ઈરાનનો રાજા જ છું. ખામેની અમેરિકાની માનસિકતાથી બરાબર વાકેફ છે અને એટલે જ ટ્રમ્પે એવી ગુગલી નાખી કે ઈરાન સમજૂતી કરવા માગે છે. પણ ખામેની સામે ટ્રમ્પની દાળ ગળે તેમ નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:55 pm

પત્નીની હત્યાના ગુનામાં પેરોલ પર ફરાર પતિ ઝડપાયો:દિવાળી વેકેશન પૂર્ણ થતાં બાળકોને ઘરે મુકવા આવ્યો ને ઝડપી જેલ હવાલે કર્યો, આજીવન કેદની સજા ભોગવતો હતો

મહેસાણા પેરોલ ફ્લો ટીમે આજે મર્ડર કેસના આરોપીને દબોચી ફરી જેલ હવાલે કર્યો છે. આરોપી મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો હતો. આ આરોપી પેરોલ મેળવી પોતાના ઘરે આવ્યો હતો. જોકે પેરોલ પૂર્ણ થયા બાદ આરોપી પરત જેલ જવાના બદલે ફરાર થઇ ગયો હતો. આ આરોપી છેલ્લા દસ માસથી ફરાર હતો જે આરોપીને શોધી કાઢી મહેસાણા પેરોલ ફ્લો ટીમે ફરી જેલ હવાલે કર્યો છે. પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદની સજા ફટકારી હતીકડી તાલુકાના સૂરજ ગામે રહેતા નાડીયા મંગેશ ભાઈ બળદેવ ભાઈ નામના આરોપીએ 2021ની સાલમાં પોતાની પત્ની સરોજ બેનની હત્યા કરી હતી. જે કેસમાં પિયર પક્ષ તરફથી આરોપી સામે મર્ડર અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા 22 ડિસેમ્બર 2023ના રોજ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. જે આરોપી 10 જાન્યુઆરી 2025 ના રોજ 15 દિવસની પેરોલ મેળવી પોતાના ઘરે આવ્યો હતો. આ આરોપીને 24 જાન્યુઆરી 2025 ના રોજ જેલમાં પરત જવાનું હતું પણ જેલમાં જવાને બદલે ક્યાંક ફરાર થઇ ગયો હતો. દિવાળી વેકેશન પૂર્ણ થતાં બાળકોને ઘરે મુકવા આવ્યોસમગ્ર કેસમાં ફરાર આરોપીને ઝડપવા પોલીસે ભારે જહેમત કરી હતી. આ કેસમાં પેરોલ ફ્લો ટીમે આરોપીના ઘરે અનેકવાર જઇ તપાસ આદરી હતી. જોકે પોલીસે આરોપીને ઝડપવા અનેક પાસા તપસ્યા હતા. જોકે મહેસાણા પેરોલ ફલોના ASI નરેન્દ્રસિંહ અને HC રશમેન્દ્ર સિંહને બાતમી મળી હતી કે, આરોપી પોતાના બાળકોને વેકેશન પૂરું થતા સૂરજ મુકવા આવ્યો હતો. તેમજ આરોપી વિરમગામ હાસલપુર ચોકડી ઉભો હોવાની બાતમી મળતા ટીમે તેણે ઝડપી લીધો હતો. આરોપીને ઝડપી પોલીસે ફરી જેલ હવાલે કર્યો હતો. આજીવન કેદની સજા ભોગવતો આરોપી 10 મહિનાથી ફરાર હતોઆરોપી નાડીયા મંગેશભાઈ ફરાર થયા બાદ તે મોરબી ખાતે મજૂરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. જોકે આરોપી અનેકવાર પોતાના ગામ ચોરી છુપી બાળકોને મળવા આવતો હતો. સૂરજ ગામે રહેતા બાળકોની શાળામાં દિવાળીની રજાઓ પડતા આરોપી પોતાના બાળકોને મોરબી ખાતે રહેવા લઈ ગયો હતો. જોકે દિવાળી વેકેશન પૂરું થતા આરોપી પોતાના બાળકો ને ગામમાં મુકવા આવ્યો હોવાની બાતમી મળતા 10 માસથી ફરાર આરોપી ઝડપાઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:49 pm

બે વર્ષથી ગુમ રાજસ્થાનની યુવતી મળી:વડાલી પોલીસે શોધી પરિવારને સોંપી, રાજસ્થાન-ગુજરાતમાં શોધખોળ કરવા છતાં મળતી ન હતી

સાબરકાંઠા જિલ્લામાં વડાલી પોલીસે બે વર્ષથી ગુમ થયેલી રાજસ્થાનની યુવતી હેમલતાને શોધી કાઢી તેના પિતાને સોંપી છે. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇડર વિભાગીય પોલીસ અધિકારી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ વડાલી પીઆઈ ડી.આર. પઢેરીયા અને તેમની ટીમે ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધવા માટે સતત તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીસોદ ગામના મગનલાલ લક્ષ્મણજી માલવીયાએ પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેમની 21 વર્ષીય પુત્રી હેમલતા છેલ્લા બે વર્ષથી ગુમ છે. મગનલાલે પોલીસને માહિતી આપી હતી કે હેમલતા રાજસ્થાન અને ગુજરાતમાં શોધખોળ કરવા છતાં મળી ન હતી, પરંતુ તેમને સમાચાર મળ્યા હતા કે તે વડાલી આસપાસના ગામડાઓમાં મજૂરી કરી રહી છે. આ માહિતીના આધારે, વડાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને શી-ટીમના સભ્યોએ વિસ્તારના ગામડાઓમાં બહારથી મજૂરી કરવા આવેલા લોકોની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, પોલીસને વડગામડા ગામે મજૂરી કરતી હેમલતાબેન ડી/ઓ મગનલાલ લક્ષ્મણજી માલવીયા વિશે જાણકારી મળી. પોલીસે મગનલાલને સાથે રાખી વડગામડા પહોંચી હેમલતાબેનને શોધી કાઢ્યા. પિતાએ પુત્રીને ઓળખી બતાવતા, હેમલતાબેનને તેમના પિતાને સોંપવામાં આવ્યા હતા. એક અન્ય ઘટનામાં, સાબરકાંઠા SOG ટીમે ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. SOG ટીમ ATS ચાર્ટર સંબંધિત કામગીરીના ભાગરૂપે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, ખાનગી બાતમીના આધારે, સજાપુર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠાના રહેવાસી 20 વર્ષીય યુવરાજસિંહ વિજયસિંહ રાઠોડ રાયગઢ બસ સ્ટેશન આગળ રોડ પરથી મળી આવ્યો હતો. યુવરાજસિંહ રાઠોડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2013 ની કલમ-35(1)(J) મુજબ અટક કરવામાં આવ્યો હતો. તેને આગળની કાર્યવાહી માટે ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:46 pm

રાજકોટમાં પોલીસ ભરતીના નામે કરોડોની છેતરપિંડી:ગૃહ વિભાગમાં ઓળખાણ છે કહી પહેલા PSI અને પછી ડીએસપી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 1.48 કરોડ પડાવ્યા, આરોપીઓ હજુ પણ ફરાર

રાજકોટ શહેરમાં વધુ એક વખત પોલીસ ભરતીના નામે છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં આરોપીઓ દ્વારા ગૃહ વિભાગમાં ઓળખાણ હોવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના નવાગામ નજીક રહેતા પશુપાલક સાથે પાલીતાણાના બે શખ્સો દ્રારા પુત્રને પ્રથમ PSI બનાવવા અને બાદમાં સીધા DSP બનાવી દેવાની લાલચ આપી રૂપિયા 1.48 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી જે મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.પશુપાલકે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ભરતીના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. રાજકોટના નવાગામના રહેવાસી જીલુ ગમારા નામના પશુપાલન સાથે સંકળાયેલા વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની સાથે પાલીતાણાના રહેવાસી વિવેક ઉર્ફે વીકી દવે અને હરી ગમારા નામના શખ્સોએ પોતાના પુત્રને PSI બનાવી દેવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી જો કે PSI ન બનતા બાદમાં DSP બનાવી દેશે તેવી લાલચ આપી 1 કરોડ 48 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી જો કે ફરિયાદીને સરકારી નોકરી આપવાની વાત ખોટી હોવાનું માલુમ થતા તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બીએનએસ કલમ 318(4), 3(5) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વિવેક ઉર્ફે વિકી દવે પોતાની જાતને મોટો વ્યક્તિ હોવાનો અને સરકારમાં મોટી ઓળખ હોવાનો દાવો કરતો હતો અને તે પેટેના કેટલાક વિડીયો પણ સોશિયલ મિડીયામાં સામે આવ્યા હતા જેમાં આરોપી વિવેક એક સામાજિક પ્રસંગમાં બાઉન્સર સાથે એન્ટ્રી પાડતો જોવા મળ્યો હતો. કઇ રીતે આચરી છેતરપિંડી ? પોલીસના જણાવ્યા મુજબ ફરીયાદી જીલુ ગમારા અને આરોપી હરિ ગમારા બંન્ને એક જ સમાજના છે વર્ષ 2021-22માં જીલુ ગમારાના પુત્રને PSI તરીકે નોકરી આપવાના બ્હાને સેટીંગ કરી આપવાનું કહ્યું હતું અને આ માટે હરિ ગમારાએ પાલિતાણાના વિવેક ઉર્ફે વીકી દવે સાથે સંપર્ક કરવા કહ્યું હતું. વિકીએ PSIની ભરતી માટે 50 લાખ રૂપિયા માંગ્યા હતા આ પેટે 15 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. જો કે જીલુ ગામારાના પુત્રનું નામ PSI તરીકે મેરિટમાં આવ્યું ન હતું જેથી વિકીએ 14 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. 1.48 કરોડ પરત ન આપતા ફરિયાદ નોંધાવી થોડા દિવસો પછી વિકીએ ફરી જીલુ ગમારાનો સંપર્ક કર્યો હતો અને વિવેકે પોતાની ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં મોટી ઓળખાણ છે તેવું કહીને સીધું જ ડીએસપી તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી આ પેટે 2.36 કરોડ રૂપિયા આપ્યા હતા જેનો વિડીયો પણ તૈયાર કર્યો હતો. પરંતુ તેમાં પણ જીલુ ગમારાના પુત્રનું નામ ન આપતા વિવેક પાસે રૂપિયાની માંગણી કરી હતી જેમાં વિવેકે 88 લાખ રૂપિયા પરત આપ્યા હતા જો કે બાકીના 1.48 લાખ રૂપિયા પરત ન આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ઠગબાજોની શોધખોળ હાથ ધરી છે. જેમાં બંન્ને આરોપી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે.અન્ય લોકો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવો ઉલ્લેખનીય છે કે પોલીસ ભરતીના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે સરકાર ભરતી પ્રક્રિયાને લઇને અનેક જાગ્રુતા ફેલાઇ તેવી જાહેરાતો કરે છે પરંતુ તેમ છતાં લાલચું લોકો આવા લેભાગુ તત્વોની જાળમાં ફસાય જાય છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જો કોઇ વ્યક્તિ લેભાગુ તત્વની જાળમાં ફસાયા હોય તો પોલીસનો સંપર્ક કરે અને કોઈ લાલચમાં ફસાઈ નહિ.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:27 pm

ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ:સીઝન-2 માટે વડોદરાની રિટ્ઝ લેનને સત્તાવાર લાઇફસ્ટાઇલ ફર્નિચર પાર્ટનર તરીકે સામેલ કરાઈ, રાઉન્ડ 2માં સલમાનખાન હાજરી આપશે

વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય રેસર વીર પટેલ દ્વારા આયોજિત વિશ્વની સૌપ્રથમ આગવી ફ્રેન્ચાઈઝી આધારિત સુપરક્રોસ રેસિંગ લીગ, ધ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ(ISRL)એ તેની બીજી સીઝન માટે રિટ્ઝ લેનને સત્તાવાર લાઇફસ્ટાઇલ ફર્નિચર પાર્ટનર બનાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી હૈદરાબાદ અને કાલિકટમાં ISRLના સ્થળોએ ચાહકોના હોસ્પિટાલિટીના અનુભવને વધુ બહેતર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વડોદરાની બ્રાન્ડ એવી રિટ્ઝ લેનનું પ્રીમિયમ આઉટડોર ફર્નિચર મુખ્યત્વે ફેન પાર્ક્સ, VIP બોક્સ અને હોસ્પિટાલિટી લાઉન્જમાં જોવા મળશે, જે ISRLના રેસિંગના અનુભવમાં આરામ અને આધુનિકતાનો ઉમેરો કરશે. આ ભાગીદારી મોટરસ્પોર્ટ, લાઇફસ્ટાઇલ અને મનોરંજનને એક શક્તિશાળી પ્લેટફોર્મમાં મર્જ કરવાના ISRLના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુમેળ ધરાવે છે. રિટ્ઝ લેનના સ્થાપક અને ડિરેક્ટર પાર્થ પટેલે આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “રિટ્ઝ લેન ખાતે, અમારું વિઝન હંમેશા વર્લ્ડ-ક્લાસ લાઇફસ્ટાઇલ ફર્નિચર બનાવવાનું રહ્યું છે જે ડિઝાઇન, ટકાઉપણાં અને આરામનું સંયોજન ધરાવે છે. ISRLની સીઝન 2નો ભાગ બનીને અત્યંત રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ અને હજારો ચાહકો તેમજ મહેમાનો સમક્ષ રિટ્ઝ લેનની સિગ્નેચર ડિઝાઇન રજૂ કરવા આતુર છીએ. ISRLની સીઝન-2, ત્રણ શહેરોમાં યોજાશે, જેમાં 18 અત્યંત રોમાંચક અને શ્વાસ થંભાવી દેનાર રેસ, 6 ફ્રેન્ચાઇઝી ટીમો અને 36 વૈશ્વિક અને ભારતીય રાઇડર્સનો સમાવેશ થાય છે - પૂણેમાં ધમાકેદાર પ્રારંભથી લઈને, 6ઠ્ઠી ડિસેમ્બર 2025એ જીએમસી બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ, ગચીબોવલી ખાતે હૈદરાબાદમાં યોજાશે અને 21 ડિસેમ્બરના રોજ ઇએમએસ કોર્પોરેશન સ્ટેડિયમ, કાલિકટ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ISRL અને લિલેરિયા ગ્રુપ, વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે, ISRL તેના ચાહકોને રેસિંગથી વિશેષ ઉતકૃષ્ટ મનોરંજનનો બહેતર અનુભવ પૂરો પાડવા સતત કાર્યરત રહે છે. રિટ્ઝ લેન સાથેની ભાગીદારી અમારા ફેન પાર્ક અને હોસ્પિટાલિટી ઝોનમાં સોફિસ્ટિકેશન અને પ્રીમિયમ આરામનો સ્પર્શ લાવે છે, જે સીઝન 2ના માહોલને ઉત્સાહપૂર્ણ બનાવે છે. ISRL પરિવારમાં રિટ્ઝ લેનનું સ્વાગત કરીને અમે આનંદ અનુભવી રહ્યાં છે. ISRLના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર મેગાસ્ટાર સલમાન ખાન હૈદરાબાદ અને કોઝિકોડ એમ બંને રાઉન્ડમાં હાજર રહી સીઝનમાં સ્ટાર પાવરમાં વધારો કરશે, જે ચાહકો સાથે જોડાઈને અને ભારતના સતત વધતા મોટરસ્પોર્ટ કલ્ચરની ઉજવણી કરશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:26 pm

હળવદ સોલાર પ્લાન્ટ ચોરી કેસમાં બે શખસ ઝડપાયા:₹2.99 લાખથી વધુનો કોપર વાયરનો મુદ્દામાલ જપ્ત

હળવદના કવાડિયા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 2.99 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મોરબીના સનાડા રોડ પર રહેતા સુમિત રાજેન્દ્રકુમાર પંડ્યા (ઉં.વ. 35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગત 1 નવેમ્બર, 2025ના રોજ સાંજે 6:30 વાગ્યાથી 4 નવેમ્બર, 2025ના સવારે 9:00 વાગ્યા દરમિયાન કવાડિયા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ પરના ફેન્સિંગ તાર કાપીને ચોરો અંદર પ્રવેશ્યા હતા. ત્યાંથી આશરે 1000 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 4 લાખ હતી. પોલીસે આ ગુનામાં સુલ્તાન ઉર્ફે કાનો ધીરુ દેકાવાડિયા અને રવિ ઘનશ્યામ દેકાવાડિયા (બંને રહે. દેવપર સુખપર)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી 460 કિલો અને 770 ગ્રામ કોપર વાયર જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 2,99,455 આંકવામાં આવી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:25 pm

સિયોન સ્કૂલ વિવાદમાં સંડોવાયેલા 3 આરોપીઓની જામીન અરજી નામંજૂર:શાળામાં માન્યતા વિના વર્ગો ચલાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આરોપ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝર ગામમાં આવેલી સિયોન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટના ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી ધરમપુર કોર્ટે નામંજૂર કરી છે. આ સંસ્થા પર માન્યતા વિના ધોરણ-9 અને ધોરણ-10ના વર્ગો ચલાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આરોપ છે. સિયોન સુવાર્તીક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થાએ ધોરણ-9માં 12 અને ધોરણ-10માં 8 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. આરોપ મુજબ, ટ્રસ્ટના પ્રમુખ ફુલજી ભસરા અને અન્ય ટ્રસ્ટીઓએ દરેક વિદ્યાર્થી પાસેથી આશરે રૂ. 40 હજાર ફી વસૂલી હતી અને ખોટી નાણાકીય રસીદો આપી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ખોટી અને બનાવટી માર્કશીટ આપીને વાલીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી અને છેતરપિંડીનો કિસ્સો શિક્ષણ ક્ષેત્રે પ્રકાશમાં આવ્યો છે. આ મામલે BNSની કલમ 318(4), 336(2), 336(3), 340(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરમપુરના એડિશનલ સેશન્સ જજ એમ. એ. મિર્ઝા સમક્ષ આરોપીઓ નિલેશ સુરેશભાઈ નાયક, પારૂલબેન અતિકભાઈ નાયક અને ધ્રુવી નિલેશભાઈ નાયક દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. રાજ્ય પક્ષ તરફથી ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ કોર્ટ સમક્ષ મજબૂત દલીલો રજૂ કરી હતી. આ દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાલયે ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:20 pm

પોશીનામાં 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું ભવ્ય સ્વાગત:ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજન

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પડાપાટ ખાતે 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ પોશીનાના લાંબડીયા સ્થિત બિરસા મુંડા ચોકમાં એક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ઉપસ્થિતોએ ભગવાન બિરસા મુંડાના જીવનકવન વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે પી.સી. બરંડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિજાતિ બાંધવોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાના બલિદાનને ઉજાગર કરવા માટે આ ગૌરવ રથ આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના 53 આદિજાતિ તાલુકાઓમાં ભ્રમણ કરશે અને આદિજાતિ સમુદાયના ભવ્ય ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડશે. મંત્રી રમેશ કટારાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને 'જનજાતિય ગૌરવ વર્ષ' તરીકે ઉજવીને આદિજાતિ બાંધવોનું ગૌરવ વધારવામાં આવ્યું છે. તેમણે આ વિસ્તારમાં થયેલા અનેક વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે, મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમુદાયના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ રથ યાત્રા આગામી બે દિવસ સુધી ખેરોજ, હિંગટીયા, ખેડબ્રહ્મા, નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ અને ચિઠોડા સહિતના આદિજાતિ વિસ્તારોમાં ભ્રમણ કરશે. આ કાર્યક્રમમાં ડો. કુબેર ડિંડોર, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ગજેન્દ્ર સક્સેના, નિલેશ બુબળિયા, કેવલ જોશીયારા, લોકેશ, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:20 pm

જામજોધપુરમાં 9 નવેમ્બરે 'આપ' દ્વારા કિસાન મહાપંચાયત:હડદળની ઘટનામાં જેલમાં બંધ ખેડૂતોને ન્યાય અપાવવાની માગ કરાશે

આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જામનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના વિવિધ પ્રશ્ને આ મહાપંચાયત યોજાશે. આ મહા પંચાયતનો ઉદ્દેશ્ય બોટાદ જિલ્લાના હડદળ ગામના જેલબંધ ખેડૂતોને ન્યાય અપાવવાનો પણ છે. આ કાર્યક્રમ 9 નવેમ્બર, 2025ના રોજ ત્રણ પાટિયા પાસે યોજાશે. આ મહાપંચાયતમાં બોટાદ જિલ્લાના હડદળ ગામમાં થયેલી ઘટનામાં જેલમાં બંધ નિર્દોષ ખેડૂતોને ન્યાય અપાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. ખેડૂતો પર પોલીસ દ્વારા દમન ગુજારી ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી આ ખેડૂતોની તાત્કાલિક મુક્તિ અને તેમના પર લગાવવામાં આવેલા ખોટા આરોપો રદ કરવાની માંગ કરી રહી છે. હેમંત ખવા અને પ્રકાશ દોંગાએ આ ઘટનાને ગુજરાતના ઇતિહાસમાં કલંક સમાન ગણાવી હતી. આ કિસાન મહાપંચાયતમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, હેમંત ખવા, મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, સામત ગઢવી, પરેશ ગોસ્વામી, પ્રકાશ દોંગા, યુવરાજસિંહ જાડેજા, રામજીભાઈ પરમાર, વશરામભાઈ આહીર અને રાજેન્દ્રસિંહ સોઢા સહિતના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ત્રણ પાટિયાથી જામજોધપુર મેઇન રોડ (આંબરડી જવાના રસ્તે) પર બપોરે 3.00 કલાકે યોજાશે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:17 pm

ઢોલ નગારા સાથે સ્વાગત:વડોદરાની દીકરીઓએ અયોધ્યામાં યોજાયેલી ગ્રેપ્લિંગ કુસ્તીમાં દેશભરમાં ગજવ્યું નામ, એક દીકરીએ ગોલ્ડ, બીજી દીકરીને સિલ્વર મેડલ મળ્યો

ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યા ખાતે આયોજિત નેશનલ ગ્રેપ્લિંગ કુસ્તી સ્પર્ધામાં વડોદરાની બે દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં એક દીકરીએ ગોલ્ડ મેડલ અને બીજી દીકરીએ સિલ્વર મેડલ જીતીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. આ બંને દીકરીઓ પૈકી, વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારની માળી મોહલ્લામાં રહેતી પ્રેરણા હરીશભાઈ માળીએ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને શહેરનું શિર ઉન્નત કર્યું છે. આ સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલિસ્ટ પ્રેરણા માળીનું આજે વડોદરા ખાતે ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારાના ગગનભેદી તાલે, ઉત્સાહભર્યા વાતાવરણમાં, વિજેતા દીકરીને આવકારવામાં આવી હતી. આ શુભ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રેરણાની આ અસાધારણ સિદ્ધિ બદલ તેને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. દીકરીના આ વિજયને વધાવવા માટે, માળી સમાજના પ્રમુખ સંજય માળી દ્વારા આ સ્વાગત અને સન્માન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને સ્થાનિકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને પ્રેરણાના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેની આ સિદ્ધિ બદલ તેને અભિનંદન આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:06 pm

રોજગાર ભરતી મેળો યોજાયો:વડોદરામાં એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળામાં 80 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

મદદનીશ નિયામક રોજગાર કચેરી, વડોદરા અને જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન,ન્યુ સમા રોડ ક્રોસીંગ, છાણી રોડ, વડોદરા ખાતે માત્ર એકસ સર્વીસમેન માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શીબીર યોજાઈ હતી. આ ભરતી મેળામાં ઓફિસર , સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટીગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજર જેવી 200 જેટલી વેકેન્સી (જગ્યા) માટે 14 કંપનીના પ્રતિનિધિ હાજર રહીને એકસ સર્વીસમેન ઉમેદવારોના ઈન્ટરવ્યુ લિધા હતા. જેમાંથી 80 જેટલા ઉમેદવારની પ્રાથમીક પસંદગી કરવામા આવી છે. આ ભરતી મેળામાં મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ ,જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ ડૉ.કમલપ્રીત સાગી ,જીલ્લા ઉધ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી, લીડ ડીસ્ટ્રીકટ બેંક મેનેજર અમીતકુમાર ,પી એફ એન્ફોર્સમેન્ટ ઓફિસર પ્રવીણ પાણીકર અને જયેન્દ્ર કુશવાહા તેમજ સીઈડી અને બી એસ વી એસના અધિકારી દ્વારા રોજગારી ઉપરાંત સ્વરોજગાર, લોન સહાય તેમજ અનુબંધમ પોર્ટલ, એનસીએસ પોર્ટલ , પ્રધાન મંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) તેમજ ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને કરીઅર ગાઈડન્સ તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 7:04 pm

એક વર્ષ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટે સજા ફટકારી'તી:હત્યાની કોશિષના ગુનામાં 10 વર્ષની સજા પામેલ આરોપીના સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યા, આરોપીઓ દ્વારા છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

રાજકોટમાં વર્ષ 2016માં બનેલી હત્યાની કોશિષની ગંભીર ઘટના સાથે જોડાયેલા કેસમાં 10 વર્ષની સજા પામેલા આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય આ કેસમાં એક વર્ષ પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી જેને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી હતી. છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો મીત ભરતભાઈ સરવૈયા નામના લોન રીકવરી એજન્ટ અને તેનો મિત્ર કલ્પેશ ધ્રાંગીયા વર્ષ 2016 દરમિયાન ગોંડલ રીકવરી માટે ગયા હતા. આ સમયે આરોપી સંદિપ ઉર્ફે દીકુ દેવડાએ મીત સરવૈયાને ફોન કરી રાજકોટના ત્રિશૂલ ચોક પાસે રાજદીપ પાન સેન્ટર નજીક બોલાવ્યો હતો ત્યાં પહોંચતાની સાથે સંદિપ ઉર્ફે દીકુ દેવડા, દીકુ સુરેશભાઈ રાજપૂત, બાઠીયો કોળી તથા બે અજાણ્યા શખ્સોએ ધોકા અને છરી વડે બંને પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ, સેશન્સ કોર્ટે પુરાવા આધારે ત્રણેય આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી હતી અને હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી. સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ” અરજી દાખલ કરી હતી હાઈકોર્ટના આદેશ સામે આરોપી સંદિપ દેવડાએ ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા મારફત સુપ્રિમ કોર્ટમાં “સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ” અરજી દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચના ઓનરેબલ જસ્ટિસ પંકજ મિથલ અને ઓનરેબલ જસ્ટિસ પ્રસન્ના બી. વારલેની સામે કેસની સુનાવણી દરમ્યાન બચાવ પક્ષના એડવોકેટોની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. આ કેસમાં આરોપી તરફે સુપ્રિમ કોર્ટના સિનીયર એડવોકેટ પ્રદ્યુમન ગોહીલ, તરૂણાસિંહ ગોહીલ, વિજયરાજસિંહ જાડેજા, અલાપ્તી સાહિત્ય કૃષ્ણા, હેતવી કેતન પટેલ, ઋષભ એન. કાપડીયા, તાનિયા બંસલ, તેમજ ગોંડલના હર્ષિદાબેન કે. ચનિયારા અને કલ્પેશભાઈ રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:46 pm

નડાબેટ સીમા દર્શન ખાતે કેન્સર જાગૃતિ કેમ્પ:વહેલા નિદાન અને સ્વસ્થ જીવનશૈલી પર ભાર

નડાબેટ સીમા દર્શન ખાતે 7 નવેમ્બર, 2025ના રોજ નૅશનલ કેન્સર અવેરનેસ કેમ્પ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. આ કેમ્પ દરમિયાન, તબીબી નિષ્ણાતો દ્વારા નિ:શુલ્ક આરોગ્ય તપાસ અને માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રોમાં સમયસર નિદાન અને જીવનશૈલીમાં જરૂરી સુધારાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. માહિતીપ્રદ પ્રદર્શનો અને જાગૃતિ પ્રવચનો દ્વારા ઉપસ્થિત લોકોને કેન્સર નિવારણ માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ એ ઉપચાર તરફનું પ્રથમ પગલું છે તેવો સંદેશ આપવામાં આવ્યો. સ્થાનિક આરોગ્ય વિભાગના સહયોગથી આયોજિત આ અભિયાન લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:46 pm

કાલાવડમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો:પોલીસે એક આરોપીને રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

કાલાવડ ગ્રામ્ય પોલીસે વિભાણીયા ગામના નાગબાઈ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. વિભાણીયા ગામના નાગબાઈ માતાજીના મંદિરમાં 4 નવેમ્બર, 2025ના રોજ રાત્રિના 3:18 થી 5 નવેમ્બર, 2025ના રોજ સવારના 4:06 વાગ્યા દરમિયાન દાનપેટી તોડી આશરે રૂ. 30,000ની રોકડ ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI પી.જી. પનારાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે પોલીસે મોટા વડાળા ગામના પાટિયાથી મોટા વડાળા ગામ તરફ જતા રસ્તે આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન પોલીસે મિલન ભરતભાઈ ગોડલીયા (ઉં.વ. 20, ધંધો મજૂરી, રહે. મોટા વડાળા, તા. કાલાવડ, જિ. જામનગર) નામના શખ્સને એક્ટિવા મોટરસાયકલ, ચોરી કરેલા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે સંતાડેલા વધુ રોકડા રૂપિયા, ચોરીના રૂપિયાથી ખરીદેલા કપડાં અને બૂટ પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 79,550નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ. 18,550 રોકડા, રૂ. 4,500ની કિંમતના બે જોડી કપડાં, રૂ. 1,500ની કિંમતના બૂટ, રૂ. 50,000ની કિંમતનું એક્ટિવા મોટરસાયકલ અને રૂ. 5,000ની કિંમતનો મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:44 pm

હાઇકોર્ટે ભવિષ્યને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર એસેસમેન્ટ કરવા કહ્યું:સરકારી વકીલે કહ્યું- આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાન રાખીને AIનો પણ ઉપયોગ કરાશે, ચાર સભ્યોની કમિટી બની

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આગામી 15 વર્ષ માટે શહેરનું આયોજન કેવું હશે તે માટે એક્સપર્ટ એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામા આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા મેનપાવરને લઈને ફ્રેશ એસેસમેન્ટ કરવામાં આવશેઆગામી વર્ષોમાં ટ્રાફિક કેવો હશે, રોડ અને ટ્રાન્સપોર્ટ માટે વિઝન, મેનપાવર અને ટેક્નોલોજીનો ઉપયોગનો સંગમ કરવામાં આવશે. 13 નવેમ્બર સુધી ટેન્ડર ભરવાની તારીખ રાખવામાં આવી છે. જેનો રીપોર્ટ 15 સપ્તાહમાં આપવાનો રહેશે. આ માટે ચાર સિનિયર પોલીસ ઓફિસરની કમિટી બનાવવામા આવી છે. જેના ચેરમેન IGP ટ્રાફિક છે. ગૃહ વિભાગ દ્વારા મેનપાવરને લઈને ફ્રેશ એસેસમેન્ટ કરવામાં આવશે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું આયોજન કરવાના છો તો તે મુજબ એસેસમેન્ટ કરોકોર્ટે સૂચન કર્યું હતું કે, આજની અને ત્યારબાદના 5 વર્ષમાં કેટલા મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હશે તે નક્કી કરવામાં આવે. વર્તમાનમાં અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તાઓ ઉપર પણ હોમગાર્ડને મૂકવામા આવે છે કારણ કે, તમારી પાસે પૂરતો ટ્રાફિક સ્ટાફ નથી. તમે કોમનવેલ્થ અને ઓલિમ્પિક યોજવાનું આયોજન કરવા જઈ રહ્યા છો તો તે મુજબ એસેસમેન્ટ કરો. આ મુદ્દે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાશે. કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા અગાઉ જણાવ્યું હતુંઅગાઉની સુનવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર છે. આગામી સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે. જેની જાહેરાત બહાર પાડવામાં આવશે. 1315 કર્મચારીઓમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે. આગામી 15 વર્ષ માટે પોલીસની જગ્યાઓને લઈને થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે. વર્તમાનમાં 12 હજાર જગ્યાઓ પોલીસમાં ભરાઈ રહી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં વસ્તીના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી. આ માટે એનાલીસીસ જરૂરી છે., ટ્રાફિક પોલીસની કેટલી જરૂર છે ? ભવિષ્યમાં કેટલી જરૂર પડશે ? આ સાથે જ કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા અગાઉ જણાવ્યું હતું. પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરેઅગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે. સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. જેથી રોટેશન કરીને ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:44 pm

મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહગાન:વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જગાડવાનો છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહગાન યોજાયું હતું. પ્રાંત અધિકારીઓની કચેરીઓ, મામલતદાર કચેરીઓ અને જિલ્લાની નગરપાલિકાઓ સહિતની વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓએ આ સમૂહગાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમૂહગાન બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને અન્યોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાના શપથ લીધા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:42 pm

મિલકત વેરામાં વ્યાજ માફી યોજના:વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકત વેરા બાકી વસૂલાત માટે વ્યાજ માફી યોજના જાહેર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા મિલકત વેરાના પાછલા વર્ષોના બાકી રહેલા વેરાની વસૂલાત વધારવા માટે વિશેષ વ્યાજ વળતર (ઇન્સેન્ટિવ રિબેટ) યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કરદાતાઓને બાકી વ્યાજની રકમમાં 60 થી 100 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. યોજના આજથી એટલે કે 7 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિલકતો બંધ રહેવી, કોર્ટ કેસ, લિક્વિડેશન અને રેવેન્યુ દાવા જેવા વિવિધ કારણોસર બાકી વેરાની વસૂલાતમાં અડચણો આવી રહી છે. આવી સ્થિતિમાં ખાતા સેટલ કરવા અને વેરા વસૂલાત વધારવા માટે આ વિશેષ યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજનાનામાં મુખ્ય ભાડા આકારણી પદ્ધતિ (1 એપ્રિલ 2003 સુધીના મિલકત કર માટે) મૂળ બાકી વેરો એકસાથે ભરવામાં આવે તો વ્યાજની સંપૂર્ણ રકમમાં 100 ટકા ઇન્સેન્ટિવ રિબેટ મળશે. માત્ર વ્યાજની રકમ બાકી હોય તો પણ વ્યાજમાં 100 ટકા છૂટ મળશે. રિટર્ન થયેલા ચેક પરના ડિમાન્ડ ચાર્જમાં પણ આ લાભ મળશે (પરંતુ રિટર્ન ચેકના નિયમાનુસારના ચાર્જ અલગથી વસૂલાશે). આ સાથે ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિમાં રહેણાંક મિલકતો માટે બાકી વ્યાજમાં 80 ટકા રિબેટ મળશે. જ્યારે બિન રહેણાંક મિલકતો માટે બાકી વ્યાજમાં 60 ટકા રિબેટ મળશે. આ સાથે વર્ષ 2024-25 સુધીના બિલમાં માત્ર વ્યાજ બાકી હોય તો પણ યોજનાનો લાભ મળશે. આ સાથે વર્ષ 2003-04 થી 2025-26 સુધીની સંપૂર્ણ બાકી રકમ ભરનારને રિબેટનો લાભ મળશે. કોર્પોરેશનના અધિકારીઓએ કરદાતાઓને અપીલ કરી છે કે આ તકનો લાભ લઈને બાકી વેરો ભરી દે અને વ્યાજની મોટી બચત કરે. વધુ માહિતી માટે VMCની નજીકની કચેરી અથવા ઓનલાઇન પોર્ટલનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:37 pm

કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ દબાણો હટાવ્યા:છેલ્લા 10 મહિનામાં 255 એકમો પાસેથી ₹20.69 લાખનો દંડ વસૂલ્યો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે છેલ્લા દસ મહિનામાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત, લોકોને અડચણરૂપ થતા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 255 જેટલા એકમો પાસેથી કુલ ₹20.69 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં જાહેર માર્ગો પરના લારી-ગલ્લાના દબાણો, રેસ્ટોરન્ટના દબાણો, ટ્રાફિકને અવરોધતા દબાણો, કન્સ્ટ્રક્શન સાઇટના દબાણો, દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર મુકાયેલ માલસામાન અને અનઅધિકૃત પાર્કિંગ જેવા વિવિધ પ્રકારના દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા આવા એકમોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે જણાવ્યું છે કે, લોકોને અડચણરૂપ થતા તમામ પ્રકારના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ ચાલુ રહેશે. આવા દબાણકર્તાઓ પાસેથી દંડની રકમ પણ વસૂલવામાં આવશે. કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના લારી-ગલ્લાવાળાઓ, ફેરિયાઓ, દુકાનદારો, કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકો અને રેસ્ટોરન્ટ માલિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ પ્રકારના દબાણો ન કરે, જેથી લોકોને અડચણ ન થાય. જો દબાણો ચાલુ રહેશે તો તેને હટાવવાની સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:37 pm

બે પરિણીતાઓની ફરિયાદ:દહેજ માટે દબાણ કરતા પતિ, સાસુ અને દિયર સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં પારિવારિક અત્યાચાર અને દહેજની માંગણીના બે ગંભીર કિસ્સાઓ નોંધાતા સાસરીયાના ત્રાસનો ભોગ બનેલી મહિલાઓની પીડા સામે આવી છે. દીકરીના જન્મ બાદ મેણાં-ટોણાં અને દહેજના પૈસા માટે દબાણ કરવા બદલ બે પરિણીતાઓએ તેમના પતિ, સાસુ અને દિયર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.​ દીકરીના જન્મ બાદ પતિ અને સાસરિયાનો ત્રાસ​પાદરીયા ગામે રહેતી 30 વર્ષીય મહિલાએ તેમના પતિ મેહુલભાઈ રમેશભાઈ વાસુકીયા, સાસુ મીનાબેન રમેશભાઈ વાસુકીયા અને દિયર કિશોરભાઈ રમેશભાઈ વાસુકીયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન વર્ષ 2011માં સમૂહ લગ્નમાં થયા હતા.લગ્નના દોઢેક વર્ષ સુધી તેમનો સંસાર સારી રીતે ચાલ્યો, પરંતુ દીકરીનો જન્મ થતાં જ તેમના પતિ મેહુલભાઈનું વર્તન બદલાઈ ગયું. પતિ મેહુલભાઈએ કાંઈ કામકાજ કરવા જવાનું છોડી દીધું હતું અને પત્નીને મેણાં-ટોણાં મારતા કે અત્યાર સુધી હું તારું પૂરું કરતો, હવે મારે બંન્નેનું પૂરું કરવું પડશે. સાસુ મીનાબેન અને દિયર કિશોરભાઈ પણ પતિને ચડામણી કરતા અને મહિલાને ઘરમાંથી કાઢી મૂકવા કહેતા. તા.4 નવેમ્બર સવારે 6:30 વાગ્યે ટિફિન બનાવતી વખતે પતિ મેહુલભાઈએ ઝઘડો કર્યો અને ડાબા હાથના ખભાના ભાગે દસ્તા વડે માર માર્યો તથા ઢીકા-પાટુનો માર માર્યો. સાસુએ ધક્કો માર્યો અને દિયરે પણ મારકૂટ કરી.શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલા બે બાળકો સાથે ઘર છોડીને નીકળી ગયા હતા.સારવાર લીધા બાદ તેમણે પતિ, સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સાસુએ કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારીદહેજનું દબાણ કર્યુંજુલાઈવાડા મસ્જીદ પાસે રહેતી 25 વર્ષીય મહિલાએ તેમના પતિ ઈકરામભાઈ અસરફભાઈ અંન્સારી અને સાસુ યાસ્મીન અંન્સારી વિરુદ્ધ દહેજ ધારા હેઠળ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.મહિલાના લગ્ન પાંચ વર્ષની પહેલા થયા હતા. લગ્નનું એક વર્ષ સારી રીતે વીત્યા બાદ પતિ અને સાસુએ તેમને કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું.સાસુ યાસ્મીનબેન સતત મેણાં મારતા કે, તને ઘરકામ અને રસોઈ કંઈ આવડતી નથી,તારા મમ્મીએ તને શીખવાડેલ નથી.પતિ અંગત ખર્ચના પૈસા પણ આપતા નહોતા. પતિ ઇકરામભાઈએ ધંધા માટે સસરા પાસેથી રૂ. 3,00,000ની લોન લઈ દેવા માટે દબાણ કર્યું. મહિલાના પિતાએ ના પાડતા દબાણ વધ્યું, જેના કારણે મહિલાના પિતાએ તેમના નામની રૂ. 28,000ની લોન લઈને તે રોકડ રકમ પતિને આપી હતી. આ લોનના હપ્તા પણ ફરિયાદી મહિલાના પિતાએ જ ભર્યા હતા.પતિ અને સાસુના આ ત્રાસથી કંટાળી મહિલા તેમની દીકરી સાથે છ મહિના પહેલા પિયર આવી પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બંને કિસ્સાઓમાં મહિલા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:37 pm

સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષાની તારીખમાં ફેરફાર:આગામી 25એ યોજાનાર પરીક્ષા હવે 15 ડિસેમ્બરના યોજાશે, ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળી રહેશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આગામી 25 તારીખે યોજાનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની વર્ગ 3ની પરીક્ષા 15 ડિસેમ્બરના દિવસે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ઉમેદવારો પરીક્ષાની તારીખ લંબાવવામાં આવે તે માટેની માંગ કરી રહ્યા હતા. જેથી, હવે પરીક્ષાની તારીખ લંબાવવામાં આવતા ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળી રહેશે. પરીક્ષાની તારીખમાં ફેરફાર થતા ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળ્યોગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર સબ એડિટરની પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ, તેના માટે ડિટેઈલ અભ્યાસક્રમ આપવામાં આવ્યો નહતો. જોકે, તે બાદ અચાનક જ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જે બાદ થોડા દિવસ પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે ડિટેલ અભ્યાસક્રમ જાહેર કરતા ઉમેદવારોએ તૈયારી કરવા માટે પૂરતો સમય આપવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા હતા. જો હવે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની માંગણી સ્વીકારી પરીક્ષાની તારીખમાં ફેરફાર ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:24 pm

ખંભાળિયામાં પેટકોક કોલસામાં ભેળસેળનું કૌભાંડ:8 શખ્સોની અટકાયત, મુખ્ય આરોપીના 3 દિવસના રિમાન્ડ પર; લોડર અને 5 ટ્રકો સાથે 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-જામનગર માર્ગ પર આવેલા કારખાનામાં પેટકોકમાં ભેળસેળ કરવાના કૌભાંડમાં દેવભૂમિ દ્વારકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને કોલસા સહિત કુલ 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 8 શખ્સોની સંડોવણી ખુલી છે. શું છે સમગ્ર કૌભાંડ?આ કૌભાંડ નયારા કંપનીમાંથી સુત્રાપાડા સ્થિત જી.એચ.સી.એલ. કંપનીમાં ઉચ્ચ ગુણવત્તાવાળો પેટકોક પહોંચાડવાના કરાર સાથે સંકળાયેલું છે. રાણાવાવની સમીર ટ્રાન્સપોર્ટ કંપનીને આ કરાર મળ્યો હતો. ગત 19 સપ્ટેમ્બરના રોજ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં આવેલી સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ટ્રકમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પેટકોકમાં ઓછી કિંમતનો હલકી ગુણવત્તાવાળો રફ કોલસો ભેળવવામાં આવી રહ્યો છે. ટ્રક દીઠ 6થી 7 ટન જેટલા કોલસાની ભેળસેળ કરીપોલીસની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર આકાશ એન્ટરપ્રાઇઝના માલિક દિલીપ લખમણ ઓડેદરાએ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના માલિક હિતેશ નકુમ અને વહીવટકર્તા ભાવિક કણજારીયા સાથે મળીને ડ્રાઇવરોની મદદથી આ કૌભાંડ આચર્યું હતું. આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ટ્રક દીઠ છ થી સાત ટન જેટલા કોલસાની ભેળસેળ કરીને કંપનીને હલકી ગુણવત્તાવાળો જથ્થો પહોંચાડ્યો હતો, જેનાથી તેમને ટ્રક દીઠ એક લાખથી વધુનો ગેરલાભ થયો હતો. 8ની અટકાયત, મુખ્ય આરોપીના 3 દિવસના રિમાન્ડ પરજિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની ટીમે સી.સી.ટી.વી. ફૂટેજ અને કોલ ડિટેઈલના આધારે આઠેય આરોપીઓની અટકાયત કરી હતી. મુખ્ય સૂત્રધાર દિલીપ ઓડેદરાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે આર્થિક વ્યવહારો અને અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ માટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે દળેલા પેટકોક, રફ કોલસો, પાંચ ટ્રક, જી.પી.એસ. મશીન અને મોબાઇલ ફોન સહિત કુલ 67,50,627નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણની વધુ તપાસ એલ.સી.બી. દ્વારા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:23 pm

પાયલોટ પ્રોજેક્ટ ધરાશે:અમદાવાદમાં મજબૂત ડામરના રોડ કરવા પહાડી વિસ્તારોમાં રોડ બનાવવાની ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે

અમદાવાદ શહેરમાં રોડ તૂટવાની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહાડી વિસ્તારમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે એવા ટેકનોલોજી મુજબનો રોડ બનાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે પીરાણા પાસે આ રોડ તૈયાર કરવામાં આવશે. ડામરના રોડ બનાવતી વખતે ત્રણ લેયરમાં બનાવવામાં આવે છે, એની જગ્યાએ બેઝમાં પોલિ ઇથિલિનમાંથી બનેલી શીટ મૂકવામાં આવશે. જેનાથી રોડ મજબૂત અને ટકાઉ બને છે અને રોડ ધસી પડવાની કે તૂટી જવાની ઘટના બનતી નથી. ટેક્નોલોજીથી રોડનો ખર્ચ પણ 30 ટકા ઓછો થશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ડામરનો રોડ બનાવવા લેયર કરવામાં આવે છે અને બેઝ બનાવવામાં આવે ત્યારે તેમાં 4 mmની પોલિ ઇથિલિનની સીટનો ઉપયોગ કરવામાં આવે, જેનાથી રોડ મજબૂત બને છે. આ સીટનો ઉપયોગ કરવાથી રોડ બનાવતી વખતે જે ત્રણ વાર લેયર કરવું પડે છે તેમાં એક લેયરમાં ઘટાડો થશે એટલે કે બે લેયર કરવાના રહેશે. ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં રોડ બનાવવામાં આવે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી રોડનો ખર્ચ પણ 30 ટકા ઓછો થશે. શીટ મૂકીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશેશહેરમાં દર ચોમાસા અને કેટલાક મહિનાઓ બાદ રોડ તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડને મજબૂત અને ટકાઉ કરવા માટે ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પોલિ ઇથિલિન કેમિકલના ઉપયોગથી શીટ બનાવવામાં આવે છે, તે શીટ મૂકીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ રોડ હાલ બનાવવામાં આવશે. જો આ ટેકનોલોજી ઉપયોગી નીવડશે તો આગામી દિવસોમાં શહેરમાં રોડ બનાવવા માટે આ ટેકનોલોજી વપરાશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:20 pm

વોર્ડ નંબર-3માં પ્રાથમિક સુવિધાનો અભાવ:રાજકોટની રુદ્ર રેસિડેન્સીનાં રહીશોનો થાળી વગાડી વિરોધ, રોડ-રસ્તા સહિતની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ

રાજકોટના વોર્ડ નંબર 3ના રેલનગર વિસ્તારમાં આવેલી રુદ્ર રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા આજે રોડ-રસ્તા અને ગંદકીના ગંભીર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી વગાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અને રોડ-રસ્તા તેમજ સફાઈ સહિતની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક રહેવાસી જિયા પરમારે જણાવ્યું હતું કે, આ સોસાયટી છેલ્લા 2-3 વર્ષથી બનેલી છે, પરંતુ અહીંની સમસ્યાઓ અપાર છે. તેમાં પણ મુખ્ય સમસ્યાઓ રોડ-રસ્તા અને ગેટ ઉપર એકઠો થતો કચરો છે. મેઇન ગેટની પાસે એટલો બધો કચરો એકઠો થાય છે કે ત્યાંથી ચાલીને જવું પણ મુશ્કેલ બની જાય છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે તેમાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વૃદ્ધો અને અન્ય રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. વધુમાં તેમણે જણાવ્યું કે રોડ-રસ્તા અને સફાઈને લઈ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને કોર્પોરેટરોને સતત ફરિયાદો અને લેખિત અરજીઓ પણ આપવામાં આવી છે. જેને લઈને હોદ્દેદારો સ્થળનું નિરીક્ષણ કરવા માટે આવે પણ છે અને તેમને એ વાતની પણ જાણ છે કે અહીં ગંભીર સમસ્યાઓ છે. જોકે, સમસ્યાનો સ્વીકાર કરવા છતાં સમાધાનના નામે મીંડુ છે. આજ સુધી તેમને એવો કોઈ જવાબ મળ્યો નથી કે, ચાલો, તમારું કામ થઈ ગયું છે. વિસ્તારમાં રોડ-રસ્તા ઉપરાંત અન્ય એક ગંભીર સમસ્યા સફાઈ અને ઘાસની છે. સોસાયટીની આસપાસ અને ખાલી જગ્યાઓમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળ્યું છે. આ ઘાસના કારણે જીવજંતુઓ અને સાપનો ઉપદ્રવ વધી ગયો છે, જે રહેવાસીઓના ઘર સુધી પહોંચી જાય છે. આ વિસ્તારમાં નાના બાળકો રહેતા હોવાથી તેમના માતા-પિતા માટે આ એક સલામતીનો ગંભીર પ્રશ્ન છે. નાના બાળકોને બહાર રમવા દેવા પણ જોખમી બની ગયા છે. આ અંગે પણ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જિયા પરમારે રુદ્ર રેસિડેન્સીના તમામ રહેવાસીઓ વતી સ્પષ્ટ માંગણી કરી છે કે, તેમની મુખ્ય માંગ તાત્કાલિક ધોરણે રોડ-રસ્તા બનાવી આપવા અને કચરાના પ્રશ્નનું કાયમી સમાધાન કરવાની છે. સાથે જ, ઘાસ અને જીવ જંતુઓના ઉપદ્રવને દૂર કરવા સફાઈ કરીને બાળકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ ચેતવણી આપી છે કે જો તંત્ર ઝડપથી કોઈ પગલાં નહીં ભરે, તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ત્યારે હવે તંત્ર દ્વારા આ અંગે ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:11 pm

SIR ઝુંબેશની સમીક્ષા બેઠક:5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મ પહોંચાડવાનું અભિયાન શરુ, 1 કરોડથી વધુ ફોર્મનું વિતરણ કરાયું

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી. 1 કરોડથી વધુ ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યાઆ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, તા.27 ઓક્ટોબર, 2025ની સ્થિતિએ ગુજરાતમાં 5,08,43,436 મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં 5,03,83,022 મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી 1,01,04,584 ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે. મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસરને તમામ માર્ગદર્શન અપાયુંગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયતા કરી શકાય, તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. મ્યુ.કમિશનર દ્વારા સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકાશેભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરો દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે. વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઓફિસર્સ દ્વારા SIR અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:04 pm

ડાંગમાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષની ઉજવણી:સામૂહિક ગાન અને સ્વદેશી શપથથી દેશભક્તિનો જયઘોષ ગુંજ્યો

રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના પ્રતીક ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક ગાન અને સ્વદેશી શપથ સાથે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આહવા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ અને નિવાસી અધિક કલેક્ટર ડો. વી.કે. જોષી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ એક સ્વરમાં “વંદે માતરમ્”નું સમૂહગાન કર્યું હતું. આ પ્રસંગે ‘સ્વદેશી અપનાવો’ અભિયાન અંતર્ગત સૌએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો શપથ લીધો હતો. સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઉપસ્થિત સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉજવણી માત્ર કલેકટર કચેરી પૂરતી સીમિત ન રહેતા, જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને પણ રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. પોલીસ અધિક્ષકની કચેરી સહિત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં પણ ‘વંદે માતરમ્’ના સ્વરો ગુંજી ઉઠ્યા હતા, જેણે ગૌરવ અને એકતાની ભાવના પ્રસરાવી હતી. વર્ષ 1875માં રચાયેલું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક બન્યું હતું. 150 વર્ષની આ ઐતિહાસિક ક્ષણ પર રાજ્યભરમાં યોજાતી ઉજવણીઓનો મુખ્ય હેતુ લોકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને સ્વદેશી ભાવનાનો સંદેશ પહોંચાડવાનો છે. ડાંગ જિલ્લામાં થયેલી આ ઉજવણી દેશભક્તિ, એકતા અને સ્વનિર્ભરતાના સંદેશ સાથે એક યાદગાર ક્ષણ તરીકે નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:04 pm

AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખમમાં

Artificial Intelligence's Serious Impact On Jobs : આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ સમસ્યા માત્ર અમેરિકા પુરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે. ઈતિહાસ કહી રહ્યો છે કે, સંકટનું પહેલું સિગ્નલ હંમેશા શેરબજારમાંથી મળે છે અને અમેરિકન શેરબજારમાં હાલમાં આ જ પરિસ્થિતિ છે.

ગુજરાત સમાચાર 7 Nov 2025 6:01 pm

બીચ પર પ્રિવેડિંગ ફોટોશૂટ કરતા 5 તણાયા:અમદાવાદ-સુરત-વડોદરાની અનેક ફ્લાઈટ્સ ડીલે, સુરતની સારોલી ટેકસટાઇલ માર્કેટમાં આગ, કરોડોનો માલ બળીને ખાક

રાજ્ય સરકાર ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લઈ શકે CM ભૂપેન્દ્ર પટેલે સાંજે સમીક્ષા બેઠક બોલાવી છે. માવઠાંથી થયેલા ખેડૂતોના પાક નુકશાનીનો સર્વે પૂરો થયા બાદ આજે આ બેઠકમાં રાજ્ય સરકાર પાક સહાય પેકેજની જોગવાઈઓને અંતિમ રૂપ આપી ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'વંદે માતરમ્'ના 150 વર્ષ, સમૂહગાન સાથે ઉજવણી વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થતા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભામાં વંદે માતરમનું સમૂહગાન કરી ઉજવણી કરાઈ. સાથે જ આ અવસરે રાજ્યભરમાં વંદે માતરમનું સમૂહગાન કરાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMએ 'જનજાતિય ગૌરવયાત્રા'નો પ્રારંભ કરાવ્યો ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી મહત્ત્વપૂર્ણ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'મંત્રીમંડળમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો' ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે. અહીં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. દરેક યોજના હોય કે કોઇ પદ પર સ્થાન આપવાનું હોય એ તમામ બાબતોમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. હમણાં મંત્રી મડળના વિસ્તણમાં પણ ઠાકોર સમાજને જે પ્રભુત્વ મળવું જોઇએ એ નથી મળ્યું. ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્ય હોવા છતાં સમાજના ધારાસભ્યો સાથે અન્યાય થયો છે. શાસક પક્ષ તરીકે એ ધારાસભ્યો ન બોલી શકે પણ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઇ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદની 5-સુરત-વડોદરાની 2-2 ફ્લાઈટ 1થી 3 કલાક મોડી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી છે. દિલ્હી એરપોર્ટથી આવતી અને જતી 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવતી કેટલીક ફ્લાઇટો ડીલે થઈ છે. આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 5 જેટલી ફ્લાઇટ મોડી પડી છે. દિલ્હીમાં એટીસીમાં સર્જાયેલ ખામીના કારણે વડોદરા આવનાર દિલ્હીની બે ફ્લાઇટ ડીલે થઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મહિલા RFOના માથામાં 8 કલાક રહી 7.65 mmની ગોળી સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાના ગંભીર મામલામાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. 6 નવેમ્બરના સવારે લગભગ 8:30 વાગ્યે આ ઘટના બની ત્યારે પહેલા અકસ્માતની ઘટના લાગતી હતી. જોકે, પછી ખબર પડી કે આ ફાયરિંગનો કેસ છે. લોહીલુહાણ હાલતમાં મહિલા RFOને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. બાદમાં વધુ સારવાર માટે સુરતની પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સીટી સ્કેન કરતા ખબર પડી કે તેમના માથામાં ગોળી છે. અહીં ઓપરેશન કરીને સોનલબેનના માથામાંથી ગોળી બહાર કઢાઈ હતી. 7.65 mmની ગોળી લગભગ 8 કલાક સુધી સોનલબેનના માથામાં હતી. પોલીસે લાઈસન્સવાળું વેપન ધરાવતા મહિલાના RTO ઈન્સ્પેક્ટર પતિની શંકાના આધારે શોધખોળ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AAP પ્રદેશ સંગઠન મંત્રીની ધમકીનો ઓડિયો વાયરલ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે, જેના સંબંધિત એક ઓડિયો પણ વાયરલ થયો છે. જોકે, રામ ધડુકે આ સમગ્ર ફરિયાદને ખોટી અને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ધડુકના કહેવા મુજબ, આ ફરિયાદ ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓના ઈશારે કરાઈ છે, કારણ કે ફરિયાદ કરનાર વ્યક્તિએ અગાઉ તેમની પાસેથી ઉછીના પૈસા અને વસ્તુ લીધી હતી, જે પરત ન આપવા પડે તે માટે આ કાવતરું રચવામાં આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પ્રિવેડિંગ ફોટોશૂટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટેકસટાઇલ માર્કેટના 12મા માળે આગ સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ફાયર વિભાગને બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેના પગલે તુરંત જ એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જો કે, કરોડોનો માલસામાન આગમાં ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં કાલે કિક્રેટર રાધા યાદવનો ભવ્ય રોડ શો વડોદરા શહેરની ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ આવતીકાલે 8 નવેમ્બરે પ્રથમવાર વડોદરા આવી રહી છે અને તેના સન્માનમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાધા યાદવ રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાંથી આ રોડ શોનો પ્રારંભ થશે. રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે. રાધા યાદવના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 6:00 pm

GSLSAને ચાઇલ્ડ રાઇટને લગતા રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ:અરજદારે કહ્યું- ચાઇલ્ડ રાઇટ પોલિસીને લગતા સુપ્રીમના નિર્દેશો પાળવામાં રાજ્યનો પૂરતો પ્રયત્ન નહીં, કમિશનને સોશિયલ ઓડિટનો આદેશ

ગુજરાત હાઇકોર્ટમાં 'બચપન બચાઓ' આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હકકને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કમિશન દ્વારા કરવાની સોશિયલ ઓડિટની પોલિસી નક્કી કરવા માટે તેમજ ઓડિટનો રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. 12 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી યોજાશેરાજ્યમાં જુદી-જુદી સંસ્થાઓ ચાઇલ્ડ રાઇટ અંગે કામ કરે છે. હાઇકોર્ટે અરજદારે રજૂ કરેલા તમામ મુદ્દાઓ ઉપર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને કેસનો રેકોર્ડ આપીને રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે. આ સાથે જ અરજદારે કહ્યું હતું કે, ચાઇલ્ડ રાઇટ અંગે સુપ્રીમના નિર્દેશોના પાલન રાજ્યનો પૂરતો પ્રયત્ન નહીં હોવાથી કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. આ મુદ્દે NALSA અને GSLSAનો મહત્વનો રોલ છે. રાજ્યનું ચાઈલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ તૈયાર કરે જેમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ, એડોપ્શન એજન્સી, બાળ સંરક્ષણ ગૃહ વગેરેનું સોશિયલ ઓડિટ કરવામાં આવે. આ અંગે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાશે. સોશિયલ ઓડિટની પોલિસી બનાવી પણ ઓડિટ કરવાનું બાકીઅગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કેસમાં અપાયેલા નિર્દેશ મુજબ સોશિયલ ઓડિટની પોલિસી બનાવી છે, પરંતુ સોશિયલ ઓડિટ કરવાનું બાકી છે. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે, બાળ સંરક્ષણ આયોગની રચના પણ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ થઈ છે. વળી પાછલા કેટલાક સમયથી સોશિયલ ઓડિટ પણ થયું નથી. બાળ સંરક્ષણ આયોગની રચના બાદ તેની પહેલી જવાબદારી સોશિયલ ઓડિટની છે, જે બાળ સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હવે આયોગ કહે છે કે, તે એક વર્ષ બાદ સોશિયલ ઓડિટ કરશે! સતત મોનીટરિંગથી ભૂલો સુધરે છેસરકારે આયોગનો 20 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી, 2025 સુધીનો ક્વાર્ટરલી રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે ચાઇલ્ડ કેર સંસ્થા બરોબર કામ કરે છે કે નહીં તે જોવાનું કામ કમિશનનું છે, પણ તે વિશે કોઈ બાબત જણાવાઈ નથી. સોશિયલ ઓડિટનું ફોર્મેટ 18 માર્ચ, 2025ના રોજ મંજૂર થયું હતું. ત્યારબાદ પણ સોશિયલ ઓડિટ કરાયું નથી. કમિશન દ્વારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ, ચિલ્ડ્રન હોમ, એડોપ્શન એજન્સી, શેલ્ટર હોમ, ઓબ્ઝર્વેશન હોમ વગેરેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. સૌથી પહેલા સોશિયલ ઓડિટ કરવું પડે, સતત મોનીટરિંગથી ભૂલો સુધરે છે. સુપ્રીમ કોર્ટના બાળકોને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન થતું નથીઆ અરજીમાં અરજદારનો દાવો હતો કે, ગુજરાત રાજ્યમાં સુપ્રીમ કોર્ટના બાળકોને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન થતું નથી. 18 જાન્યુઆરી, 2024ના રોજ ચીફ જજની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન મુખ્ય બાબતોના અમલીકરણ સંદર્ભે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં તે મુદ્દાઓ નોંધ્યા હતા. જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015, પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ એક્ટ 2005, પોક્સો એકટની જોગવાઈઓનું અમલીકરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું હતું કે, અગાઉ રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન રિટાયર્ડ થયા હતા. ત્યારબાદ નવી નિમણૂક થઈ નથી કે આયોગ અસ્તિત્વમાં નથી. સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથીત્યારબાદની સુનાવણીમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, કમિશનની રચના કરી દેવામાં આવી છે. એક ચેરમેન અને 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે. આ અરજીમાં વર્તમાનમાં ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી, બાળકોની પરિસ્થિતિનું સોશિયલ ઓડિટ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલના ચાઇલ્ડ રાઇટ કમિશન ઉપર ચર્ચા ચાલી રહી છે. છેલ્લે ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો હતો અને તેનું એપ્રુવલ બાકી હતું. અરજદારે જણાવ્યું હતુ કે, ચાઇલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ પણ કરવાનું હોય છે. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે. કમિશન રાજ્યમાં બાળકોને લગતા કાયદાઓના અમલીકરણ અને ચાઈલ્ડ પ્રોટેક્શન ઇન્સ્ટિટ્યૂટ પર દેખરેખ રાખે છે. દર 12 મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે છે, સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી. ફક્ત દર્શાવવા માટે નહી પણ બાળકોની ભલાઈ માટે કામ થવું જોઈએકોર્ટે કહ્યું હતું કે, કમિશન ફક્ત પેપર ઉપર નહિ, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એકટના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ બહુ જરૂરી છે. જેનો રીપોર્ટ નેશનલ ચાઈલ્ડ રાઇટ કમિશન અને રાજ્ય સરકારને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કમિશનની કામગીરી જુએ છે. ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન રુલ્સ 2016માં બન્યા છે. દરેક રાજ્યની જવાબદારી બાળકો પ્રત્યે જવાબદારી હોય છે. સોશિયલ ઓડિટ અંતર્ગત અનાથલાયની પણ તપાસ કરવામાં આવે છે. અરજદારે જણાવ્યું હતું કે, વર્તમાન કમિશનની રચના પહેલા ફાઈલ થયેલ સોશિયલ ઓડિટ રિપોર્ટ મિકેનિકલ રીતે ફાઈલ થયો હતો. હાઇકોર્ટે નોધ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને પોકસો કોર્ટના જજીસને ટ્રેનિંગ આપવામાં આવે છે. એવી જ રીતે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને પણ ટ્રેનિંગ આપવી જોઈએ. ફક્ત દર્શાવવા ખાતર નહિ પણ બાળકોના ભલા માટે કામ થવું જોઈએ. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની તમામ જગ્યાઓ વહેલી તકે ભરાવી જોઈએવળી રાજ્યમાં અને દરેક જિલ્લામાં ચાઈલ્ડ પ્રોટેક્શન કમિટી હોવી જોઈએ. જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની જોગવાઈઓની અમલવારી કરી શકાય, બાળ સંરક્ષણ વિભાગમાં બાળકોની સ્થિતિનો તાગ મળી શકે. ગુજરાતમાં 462 જગ્યાઓમાંથી ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ અંતર્ગત 107 જગ્યાઓ ખાલી છે, આ જગ્યાઓ સમયસર ભરાવી જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની તમામ જગ્યાઓ વહેલી તકે ભરાવી જોઈએ. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની પણ ખૂબ જરૂર છે. આ તમામનું રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ. RTI માં માગેલી માહિતી મુજબ ગુજરાતમાં 123 ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન છે. જેમાંથી 03નું રજીસ્ટ્રેશન પ્રોસેસમાં છે. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનમાં 141 જગ્યાઓ ખાલી છે. વળી અનાથાલયોમાં બાળકોનું શોષણ ના થાય તે માટે સોશિયલ ઓડીટની જરૂર છે. ગુજરાત રાજ્યમાં ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીનું સોશિયલ ઓડિટ થતું નથી. ગુજરાત સરકારે બાળકો સામેના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી બનાવવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:51 pm

પોરબંદર કલેક્ટર કચેરીમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી:અધિકારીઓ અને કર્મચારીઓએ સામુહિક ગાન કરી સ્વદેશી શપથ લીધા

પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સામુહિક ગાન કર્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા. નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદરે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વંદે માતરમ ગીતે સમગ્ર ચળવળને એક તાંતણે બાંધી હતી અને તેને નવી ઊંચાઈ આપી હતી. આ ગીત ભારત માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. વર્ષ ૧૮૭૫માં આ ગીતે દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના જગાવી હતી અને તેમને માતૃભૂમિના ગૌરવ સાથે જોડ્યા હતા. ૭મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂર્ણ થશે. આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણીના ભાગરૂપે પોરબંદર કલેક્ટર કચેરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદરે ઉપસ્થિત સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:51 pm

મહીસાગરમાં પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણ કેન્દ્ર શરૂ:જિલ્લા કક્ષાએ ખેડૂતોની ઉપજ વેચવા સ્ટોલ ઊભો કરાયો

મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વેચાણ માટે જિલ્લા કક્ષાએ એક પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ જિલ્લા કોર્ટની બાજુમાં ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો સીધા ગ્રાહકોને પોતાની ઉપજ વેચી શકશે. રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ, મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી ચાલી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો અને નાગરિકોને સ્વસ્થ આહાર પૂરો પાડવાનો છે. આ અંતર્ગત, જિલ્લા અને તાલુકા સ્તરે વિવિધ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીની ઉપજ માટે વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ નવા વેચાણ કેન્દ્રમાં ગણપતસિંહ પરમાર જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતપેદાશો, જેમાં પ્રાકૃતિક અનાજ, શાકભાજી અને ઘનજીવામૃતનો સમાવેશ થાય છે, તેનું વેચાણ કર્યું હતું. ગ્રાહકો તરફથી આ સ્ટોલને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રાહકોએ પ્રાકૃતિક રીતે તૈયાર કરાયેલી પેદાશોની ખરીદી કરી હતી અને ભવિષ્યની જરૂરિયાત માટે અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોના ઓર્ડર પણ નોંધાવ્યા હતા. આ પ્રસંગે DRDA નિયામક ચંદ્રિકાબેન ભાભોરે લુણાવાડા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર (જિલ્લા પંચાયત રોડ)ની મુલાકાત લીધી હતી અને ખરીદી પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:49 pm

શહેરના વિવિધ માર્ગો પર ડ્રેનેજ કામગીરીના કારણે રસ્તો બંધ:પદ્માવતી-લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો માર્ગ તમામ વાહનો માટે બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ કામગીરીના કારણે કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ શહેરના લાલકોર્ટથી ગાંધીનગર ગૃહ તરફ જતો રસ્તો અને ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. જ્યારે ગાંધીનગરગૃહ સર્કલથી ભક્તી સર્કલ તરફનો માર્ગ હેવી વાહનો માટે બંધ રહેશે. પદ્માવતી-લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધઆ સાથે શહેરના લહેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોર વાળા રસ્તે થઇ છત્રપતિ શિવાજી અતિથિગ્રુહ સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવાની હોવાથી લહેરીપુરા ગેટથી પદ્માવતી (મહાકાળી મંદિર) સુધીનો રોડ ખુલ્લો રહેશે. તેમજ પદ્માવતી-લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રોડ બંધઆ સાથે શહેરના ગાંધીનગરગૃહ સર્કલથી ભક્તી સર્કલ તરફથી આવતો વન-વે રોડ અડધો રોડ ટુ-વ્હિલર તેમજ નાના ફોર-વ્હિલર વાહનો માટે ખુલ્લો રહેશે, તેમજ હેવી વાહનો માટે બંધ રહેશે. સાથે ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ કામગીરી દરમ્યાન મોટા મશીનરીની અવર જવર રહેતી હોવાથી તમામ પ્રકારના હેવી વાહનો માટે બંધ રહેશે. નાગરિકોએ અવર જવર માટે નજીકના વૈકલ્પિક બીજા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીને લઈને રસ્તાઓ બંધસહારા ડભોઇ રોડ મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશીંગ પધ્ધતીથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી માટે પ્રતાપનગરથી સોમા તળાવ તરફ જતા પટેલ એસ્ટેટ ચાર રસ્તાથી મહાનગર તરફનો રસ્તો હેવી વાહનો (ટ્રક તથા બસ) માટે કામ પૂર્ણ થતા સુધી બંધ રહેશે. જેના વિકલ્પ માટે ગાજરાવાડી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી પાણી થી આરસીસી રોડ થઇ ગણેશનગર ત્રણ રસ્તા સુધીનો રસ્તો તથા બીજા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:45 pm

500 રમતવીરોએ સંતરામપુર ઓપન કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધો:પ્રથમપુર યુવા ગ્રુપે સ્પર્ધાનું આયોજન કર્યું, રાજ્યની 25 ટીમોએ ભાગ લીધો

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે યુવા ગ્રુપ દ્વારા ઓપન કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 25 ટીમોના અંદાજે 500 રમતવીરોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં વડોદરા, ઝાલોદ, બાયડ, બોડેલી, ગોધરા, કાલોલ, શામળાજી તેમજ રાજસ્થાન બોર્ડર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ટીમોએ ભાગ લીધો હતો. આયોજકોનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રમતોના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી ભવિષ્યમાં ગામડાના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ શકે. આ પ્રસંગે ગોઠીબ જિલ્લા સદસ્ય પ્રકાશ કટારા, એસટી મોરચાના સભ્ય રમેશ ભાભોર, પ્રોફેસર ડો. આઈ. વી. ડામોર, દાહોદ DEO સુરેન્દ્ર દામા, RFO મનોજ તાવીયાડ, ફાર્મિસ્ટ ગિરીશ તાવીયાડ, સરપંચ સુકલ દામા, માજી સરપંચ રમેશ બારીયા, અશોક દામા, આદિવાસી એક્ટર મહેશ પારગી, શિક્ષક પી.એસ. મછાર, આર.એસ. ડામોર, લલિત દામા, રાહુલ તાવીયાડ, ભરત ખાંટ, શૈલેષ તાવીયાડ તેમજ મુખ્ય આયોજક વિજય તાવીયાડ, જૈનેશ તાવીયાડ અને ચિરાગ દામા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:38 pm

બાલાચડી સૈનિક સ્કૂલમાં શિસ્તભંગનો મામલો ગરમાયો:શિક્ષકોની ઘટ, સ્વીમીંગ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે વાલીઓએ રિવાબા જાડેજાને રજૂઆત કરી, નિરાકરણની ખાતરી મળી

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં શિક્ષકોની ઘટ, સ્વીમીંગ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે રિવાબા જાડેજાને રજૂઆત કરી હતી. આ બેઠક જામનગર સર્કિટ હાઉસ ખાતે ખાનગીમાં યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, 575 વિદ્યાર્થીઓ ધરાવતી સૈનિક સ્કૂલમાં પૂરતો શિક્ષણ સ્ટાફ નથી, જેના કારણે NDA માટે યોગ્ય તૈયારી થતી નથી. આ ઉપરાંત, મેડિકલ અને ભોજન સહિતની સુવિધાઓનો પણ અભાવ છે. તાજેતરમાં કેટલાક મહિનાઓથી શિક્ષકોની ગેરહાજરીમાં સિનિયર વિદ્યાર્થીઓ અભ્યાસના નામે રેગિંગ કરી રહ્યા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. વાલીઓએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષણ સુધારવા માટેની માગણી કરી હતી. વાલીઓની રજૂઆત બાદ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટરને સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યા હતા, જ્યાં અધિક કલેક્ટર બી.એન. ખેર પણ ઉપસ્થિત રહ્યા હતા. રિવાબા જાડેજાએ જિલ્લા શિક્ષણ અધિકારી અને બાલાચડી સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી હતી. વાલીઓને તેમના તમામ પ્રશ્નોનું 100 ટકા નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓની પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરાવી તાત્કાલિક પ્રશ્નોના નિકાલ માટે સૂચનાઓ અપાઈ હતી. રિવાબા જાડેજાએ વાલીઓને વધુમાં ખાતરી આપી હતી કે, જો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન કે તકલીફ હશે, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. વાલીઓએ જણાવ્યું હતું કે, રિવાબા જાડેજાએ ખૂબ સારી રીતે અમારી રજૂઆત સાંભળી હતી અને તમામ પ્રશ્નોનો સો ટકા નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ અત્યાર સુધી અમને મળતા નહતા તેમણે પણ આજે તાત્કાલિક અમને મુલાકાતનો સમય આપી દીધો છે. અમારા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે રિવાબા જાડેજાએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાલીઓએ બાલાચડી સૈનિક સ્કૂલ સામે શિસ્તભંગના આક્ષેપ કર્યા હતા. આ અંગે તાજેતરમાં કલેક્ટરને રજૂઆત પણ આપવામાં આવ્યું હતું. જે રજૂઆતમાં વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળાનું વહીવટી તંત્ર તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને ટેલિફોનિક વાતચીત પણ ટાળે છે. સૌથી ગંભીર બાબત એ છે કે શાળાના આચાર્ય પણ વાલીઓની વાત સાંભળતા નથી. શાળામાં ઘણા વિષયોના કાયમી શિક્ષકો નથી. ઉપરાંત, સિનિયર વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે અને જુનિયર વિદ્યાર્થીઓને હેરાન-પરેશાન કરે છે. જમવાની ગુણવત્તા પણ નબળી હોવાની ફરિયાદો છે. 5 વર્ષથી સ્વિમિંગ પૂલ બંધ હોવા છતાં દર વર્ષે બાળકો પાસેથી તેની ફી લેવામાં આવે છે. રમતગમતના મેદાનો હોવા છતાં પ્રશિક્ષકોનો અભાવ છે અને શાળા પરિસરમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. સૈનિક સ્કૂલમાં જુનિયરોને માર મારતો વીડિયો વાયરલબાલાચડી સૈનિક સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થી દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેના કારણે શાળાના સંચાલકો સામે અનેક સવાલો ઉભા થયા છે. જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીઓને માર મારી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:31 pm

પોરબંદરમાં સિંધી સમાજનું વિરોધ પ્રદર્શન:છત્તીસગઢ ક્રાંતિ સેનાના પ્રમુખ અમિત બઘેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ

પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા તાજેતરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું, જેના કારણે સમગ્ર સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શુક્રવારે યોજાયેલી આ વિરોધ રેલી સુદામા ચોક (ફેમિલી સિલેક્શન) થી શરૂ થઈ હતી અને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલી દરમિયાન, સમાજના સભ્યોએ સિંધી એકતા ઝિંદાબાદ અને જાગો સિંધી જાગો જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કલેક્ટર કચેરી ખાતે મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી: અમિત બઘેલ વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેમને જાહેરમાં માફી માંગવા માટે ફરજ પાડવામાં આવે, અને સિંધી સમાજની ધાર્મિક લાગણીઓનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે. આ આયોજનમાં પોરબંદર સિંધી જનરલ પંચાયત, શ્રદ્ધાધામ ગાદીપતિ સાઈ મૂલણશાહ, ગુરુ નાનક મંદિરના ગાદીપતિ દિનેશભાઈ સાહેબ સહિત વિવિધ સિંધી સમાજ સંસ્થાઓના આગેવાનો અને યુવા સંગઠનો જોડાયા હતા. સિંધી જનરલ પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી અને ઉપપ્રમુખ ભીખુભાઈ ભવનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનને અન્ય સમાજો તરફથી પણ ટેકો મળ્યો હતો. લાડી લોહાણા સમાજના પ્રમુખ બલરામભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ આસનાણી, તેમજ સોની સમાજના સેક્રેટરી મુરલીભાઈ સોની સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. સિંધી યુવા સેના સહિત મોટી સંખ્યામાં યુવાનો પણ રેલીમાં જોડાયા હતા. સમાજે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ધાર્મિક આસ્થાનું અપમાન કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સમાજે પોતાની માન્યતાઓનું રક્ષણ કરવાની અને પોતાની ધાર્મિક લાગણીઓ તથા ઓળખ વિશેનો સ્પષ્ટ સંદેશો તંત્ર સુધી પહોંચાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:29 pm

25 લાખની FD કરાવી 50 લાખની લોન લઈ આરોપી ફરાર:ફરિયાદીને કોઈપણ વસ્તુ મોર્ગેજ મૂક્યા વગર લોન આપવાની લાલચ આપી, મશીનરી ન આપતા છેતરપિંડી સામે આવી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે, જેમાં બે શખસોએ એક વેપારીને મોર્ગેજ વગર આટામિલના ધંધા માટે લોન અપાવવાની લાલચ આપીને પૈસા પડાવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફેક્ટરી માટે મોર્ગેજ મૂક્યા વગર લોન આપવાની લાલચ ફરિયાદીને આપીફરિયાદી અને તેના મામાનો ચિંતન પરમાર નામના શખસ સાથે સંપર્ક થયો હતો. વાતચીત દરમિયાન ચિંતન પરમારે લઘુ ઉદ્યોગના ધંધા માટે લોન જોઈતી હોય તો બેંકમાંથી કોઈપણ વસ્તુ મોર્ગેજ મૂક્યા વગર લોન કરી આપવાની લાલચ આપી હતી. ચિંતને પોતાની આટામિલની ફેક્ટરી કઠવાડામાં ચાલી રહી હોવાનો દાવો કર્યો અને જો તે લોકો આટામિલની ફેક્ટરી નાખવા ઈચ્છતા હોય અને જમીન, લોન કે બીજી કોઈપણ પ્રકારનું સેટઅપ ઊભું કરવું હોય તો તે કરાવી આપશે એવી ફરિયાદીને લાલચ આપી હતી. જેથી, ફરિયાદીએ ચિંતન પરમાર પર વિશ્વાસ રાખી આટામિલની ફેક્ટરી નાખવાની હા પાડી હતી. ફરિયાદીના મામાના નામે ફર્મ બનાવી લોન માટે અરજી કરીજે બાદ આરોપી ચિંતન પરમારે ફરિયાદીના મામાને ફોન કરીને લઘુ ઉદ્યોગ માટે લોન લેવા આટામિલની ફેક્ટરીની મશીનરી લગાવવા માટે 7 વર્ષના ભાડા પેટે એક શેડ લેવો પડશે એવું જણાવ્યું હતું. ચિંતન પરમારે ફરિયાદીની બેંક ઓફ બરોડાના મેનેજર સાથે લોન લેવા માટે એક મિટિંગ પણ કરાવી હતી. જે દરમિયાન હાજર સંદીપ પટેલ પોતાનો ભાગીદાર હોવાની પણ ઓળખ આપી હતી. જેના બે દિવસ બાદ બાકરોલમાં એક શેડ ભાડે રાખી દીધો હોવાનું કહી ડિપોઝિટ માટે 40,000 રૂપિયા ફરિયાદીના મામા પાસેથી લીધા હતા. આરોપી ચિંતને ફરિયાદીના મામાના નામથી એક ફર્મ બનાવી બેન્ક ઓફ બરોડામાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. લોન લેવા માટે કોરા ચેક, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈને આટામિલના પ્લાન્ટ માટે 75,52,000નું પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની કંપનીનો કોટેશન બનાવી બેંકમાં જમા કરાવ્યો હતો. બેંક મેનેજરે લોન પાસ કરવા માટે 25 લાખની FD કરાવવા કહ્યું લોન માટે બેંકમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ બેંક મેનેજરે લોન પાસ કરવા માટે 25 લાખની FD કરાવવા કહ્યું હતું. જેથી, લોનની જરૂર હોવાથી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના ખાતામાંથી બેંક ઓફ બરોડામાં 25 લાખની FD કરાવી કોટેશન બનાવનાર પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના એકાઉન્ટમાં 50 લાખ ટ્રાન્સફર કરાયા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપી ચિંતન પ મારે પાંચમ પછી મશીનરી આપવા વચન આપ્યું હતું. જે બાદ લાંબો સમય સુધી મશીનરી ન મળતા ફરિયાદીએ ચિંતનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.જે દરમિયાન તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ચિંતનના ઘરે જઈને ફરિયાદીએ તપાસ કરતા તેનું ઘર પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ ચિંતનની ઓફિસે જઈને તપાસ કરતા ચિંતન ઘણા લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીજેથી ફરિયાદીએ બેન્ક પાસે લોનના ડોક્યુમેન્ટ માંગતા પ્રમુખ એન્ટરપ્રાઇઝના કોટેશનની નકલમાં ભાડા કરારમાં ખોટી સહી કરાવી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી એ ચિંતન પરમાર અને સંદીપ પટેલ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 5:10 pm

ગઢડા નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું:ભાજપમાં વિખવાદ અને ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપો કર્યા

ગઢડા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ આ રાજીનામા પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભાજપમાં વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જેના કારણે પ્રમુખે માત્ર છ મહિનામાં જ પદ છોડવું પડ્યું છે. વેલાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે શહેરમાં કોઈ વિકાસના કામો થતા નથી. નગરપાલિકાના સભ્યો પોતે જ કોન્ટ્રાક્ટર બનીને કામો કરે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીના મતે, પ્રમુખનું રાજીનામું એ જ દર્શાવે છે કે ભાજપમાં કેટલો આંતરિક વિખવાદ પ્રવર્તી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:55 pm

પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ:તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ ઉત્સાહભેર યોજાઈ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ - ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ રમતોત્સવ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાઓ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ (ઉત્તર-દક્ષિણ ઝોન) ઉત્સાહભેર યોજાઈ રહી છે. પોરબંદર તાલુકા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાકક્ષાએ પણ વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના સર્વાંગી રમત વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – પોરબંદર દ્વારા સંકલન સાધવામાં આવ્યું છે.આ ખેલ મહાકુંભ અંતર્ગત રાણાવાવ તાલુકાકક્ષાએ ઓ અને બહેનો માટેની વોલીબોલ સ્પર્ધાનું આયોજન એમ.એમ.કે. હાઈસ્કૂલ, રાણા કંડોરણા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી અંદાજિત ૧૪૪ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાની શુભારંભ વિધિ જિલ્લા રમત અધિકારી ડૉ. પ્રવિણાબેન પાંડાવદરાના પ્રેરક સંબોધનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્પર્ધામાં યોગદાન બદલ સિગ્મા સ્કૂલ, વનાણના વ્યાયામ શિક્ષક મહેન્દ્ર ડોડીયા અને પી.એમ.શ્રી કન્યા શાળા, રાણાવાવના આ.સી. શિક્ષક મલેક્ જાદવનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વિધિનું આયોજન રમત કન્વીનર ઘેલુ કાંબલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.વોલીબોલ કોર્ટ પાસે મોટી સંખ્યામાં ઉત્સાહિત રમતપ્રેમીઓ, વાલીઓ તેમજ જિલ્લાની વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો અને કોચ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ઉત્તેજના અને રમતભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓમાં અંડર–14, અંડર–17 અને ઓપન એજ કેટેગરીનો સમાવેશ થાય છે, જેમાં ઓ અને બહેનો બંને ભાગ લઈ શકે છે. આ ખેલ મહાકુંભ ખેલાડીઓને તેમની રમત પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે અને સુવ્યવસ્થિત આયોજન સાથે રમતક્ષેત્રે પ્રોત્સાહક માહોલ ઊભો કરે છે.ખેલ મહાકુંભ - ૨૦૨૫નું આયોજન જિલ્લાના હજારો ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની એક અનોખી અને મહત્વપૂર્ણ પહેલ છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:51 pm

કરગટમાં તળાવ ખોદકામ સામે ઓડ સમાજનો વિરોધ:મૃતકોના અસ્થિ લઈ જવાના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમાજના લોકો પેઢીઓથી કરગટ ગામમાં વસે છે. તેમની પરંપરા મુજબ, સ્વર્ગસ્થ સ્વજનોને ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે. હાલમાં, પંચાયત કમિટીએ તળાવના બ્યુટિફિકેશનના બહાને નાણાકીય લાભ માટે માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનો દ્વારા સમાજના સ્મશાન વિસ્તારમાં માટી ઉપાડવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં મૃતકોના હાડપિંજરો બહાર આવી રહ્યા છે અને ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી તાત્કાલિક ખોદકામ બંધ કરાવવાની માંગ કરી છે. ઉપરાંત, સ્મશાન માટેની આ જમીન ઓડ સમાજના નામે જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:48 pm

ગોધરામાં 27 શ્રમિકોને ST બસે રઝળાવ્યાં:ઓનલાઈન ટિકિટ બુકીંગ હોવા છતાં જામનગર જતી બસ શ્રમિકોને લીધા વગર ઉપડી ગઈ હોવાના આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહેતા તેઓને કલાકો સુધી રઝળવું પડ્યું હતું. આ શ્રમિકો દિવાળી પૂરી થયા બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામકાજ માટે જઈ રહ્યા હતા અને તેઓએ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરાવ્યું હતું. દિવાળીના તહેવારના સમાપન બાદ પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના મજૂરો સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરી કામ અર્થે જતા હોય છે. આવા જ 27 શ્રમિકો, જેમાં શહેરા તાલુકાના નાડા ગામના રહેવાસીઓ પોતાના પરિવાર સાથે જામનગર જવા માટે ગોધરા બસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓએ દાહોદથી જામનગર જતી બસ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, જેથી તેમને સીટ મળી શકે. જોકે, બસ તેમને લીધા વગર જ આગળ નીકળી ગઈ હતી. આ ઘટનાને કારણે નાના બાળકો અને મહિલાઓ સહિતના શ્રમિકોને કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રહેવાનો વારો આવ્યો હતો. આ બસ ડાકોર ડેપોની હતી. 27 શ્રમિકોએ ડાકોર એસટી વિભાગને આ બાબતે જાણ કરી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેમણે પોતાની રીતે સગવડ કરી લેવી પડશે અને રિફંડ પણ મળશે નહીં. ગોધરા એસટી ડેપો પર હાજર શહેરા તાલુકાના નાડા ગામના પ્રવીણસિંહ ગણપતિ પગી નામના શ્રમિકે ગોધરા એસટી વિભાગને પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ બસ નીકળી જવાના કારણે કોઈ મદદ મળી શકી ન હતી. આ મામલે ડાકોર ડેપોના સિનિયર મેનેજરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે તાત્કાલિક ડ્રાઈવર અને કંડક્ટરને બોલાવીને તપાસ કરી હતી. મેનેજરના જણાવ્યા અનુસાર, આ મુસાફરોને દાહોદથી બસમાં બેસવાનું હતું. કંટ્રોલરે એનાઉન્સમેન્ટ પણ કરાવ્યું હતું અને ત્યાં ડેપો પર પણ તપાસ કરાવી હતી, પરંતુ કોઈ મુસાફરો હાજર નહોતા. બસ ભરેલી હતી અને સમયસર હોવાથી કોઈ રિફંડ મળી શકે તેમ નથી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:46 pm

એસ.એસ.અગ્રવાલ કોલેજમાં સમય બદલાતા વિદ્યાર્થીઓનો વિરોધ:ફિઝીયોથેરાપી બાદ નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ પણ મેદાનમાં, ટ્રસ્ટીએ સોમવાર સુધીમાં નિરાકરણની ખાતરી આપી

એસ.એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી અને નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ સંસ્થાના સમયપત્રકમાં અચાનક કરેલા ફેરફાર સામે સખત વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, નવા બદલાયેલા સમયને કારણે તેમની દૈનિક દિનચર્યા, પરીક્ષાની તૈયારી અને ખાસ કરીને જાહેર પરિવહન પર નિર્ભર વિદ્યાર્થીઓની સુરક્ષાને ગંભીર અસર પડી રહી છે. 'દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને મોડું થાય'ફિઝીયોથેરાપી વિભાગના વિદ્યાર્થી પ્રતિનિધિ મિતાલી પટેલે જણાવ્યું કે, તેમનો જૂનો સમય સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યાનો હતો, જે બદલીને હવે સવારે 8:45 થી સાંજે 4:30 કરી દેવામાં આવ્યો છે. ભલે આ ફેરફાર માત્ર 30 મિનિટનો હોય, પરંતુ સાંજે 4:30 વાગ્યે છૂટવાથી દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને મોડું થાય છે. 'છોકરીઓ માટે સુરક્ષાની ગંભીર ચિંતા'મિતાલી પટેલે વધુમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ સવારે વહેલા નીકળીને સાંજે 6:00થી 8:00 વાગ્યે ઘરે પહોંચતા હતા, તેમને હવે વધુ મોડું થશે. આના કારણે તેમની પરીક્ષાની તૈયારી, ભોજન અને દૈનિક દિનચર્યા ગંભીર રીતે ખોરવાઈ જશે. તેમણે ખાસ ચિંતા વ્યક્ત કરી કે, છોકરીઓ માટે રાત્રે મોડેથી ઘરે પહોંચવું એ સુરક્ષાની ગંભીર ચિંતા ઊભી કરે છે. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટને આ મુદ્દે ત્રણ વખત લેખિત અરજી આપી હતી, પરંતુ મેનેજમેન્ટે કાં તો અરજી મળી ન હોવાનું જણાવ્યું અથવા તો મામલો ટાળી દેતા કહ્યું કે અડધો કલાકમાં શું જ ફરક પડી જશે? 'અમને અમારો જૂનો સમય જોઈએ'આ વિરોધમાં હવે નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. નર્સિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી ટીશાએ માહિતી આપી કે, અન્ય વિભાગોનો નવો સમય 8:45 થી 4:30 છે, પરંતુ તેમના ખાલી નર્સિંગ ડિપાર્ટમેન્ટ માટે જ સમય સવારે 8:30 થી સાંજે 4:30 કરવામાં આવ્યો છે. ટીશાએ કહ્યું કે, અમને અમારો જૂનો સમય જોઈએ, કેમકે બધા વિદ્યાર્થીઓ ધરમપુર, ચીખલી, ઉમરાટ જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી આવે છે. હવે વિન્ટરનો ટાઈમ છે, બધા લેટ પહોંચે, અંધારું થઈ જાય તો અમારી સેફ્ટી માટે શું છે? તેમણે મેનેજમેન્ટને જૂનો સમય તાત્કાલિક લાગુ કરવા વિનંતી કરી છે. ટ્રસ્ટી મુકેશ અગ્રવાલની ખાતરીઆ મામલે એસએસ અગ્રવાલ કોલેજના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચે મીટીંગ થઈ હતી. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, આ મામલે સોમવાર સુધીમાં સુખદ નિરાકરણ લાવવામાં આવશે અને વિદ્યાર્થીઓની માંગ મુજબ જુનો સમય લાગુ પડે તે દિશામાં વિચારણા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ પર યોગ્ય નિર્ણય લેવા દબાણ કરવા માટે જાહેરમાં વિરોધ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:42 pm

રાજ્ય સરકાર ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લઈ શકે છે:CM ભૂપેન્દ્ર પટેલે સાંજે સમીક્ષા બેઠક બોલાવી, પાક સહાય પેકેજની જોગવાઈઓને અંતિમ રૂપ અપાશે

રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણાંમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સાંજે કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા બેઠકઆ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ રાહત પેકેજની અંતિમ સમીક્ષા કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર પેકેજના માપદંડો, સહાયની રકમ અને નાણાકીય જોગવાઈઓને અંતિમ રૂપ આપશે, જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે. રાજ્ય સરકાર ખેડૂતોને ઐતિહાસિક રાહત આપવા માટે તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જરૂરી હોય તો નિયમોમાં ફેરફાર કરીને પણ સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાનજીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આ પણ વાંચો:ખેડૂતો માટે 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર થઇ શકે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જીતુ વાઘાણીની બેઠકઆજે 7 નવેમ્બરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિવિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય તે માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોની નજર આજની બેઠક પરગાંધીનગરમાં હાલ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓનો ધમધમાટ છે. જો આ પેકેજ જાહેર થાય છે તો લાખો ખેડૂતોને તેનો સીધો લાભ મળશે અને તેઓ ફરીથી પાક વાવણી માટે પ્રેરણા મેળવી શકશે. આજની બેઠક બાદ જો તમામ વિભાગોમાં સહમતી બને, તો રાજ્ય સરકાર આવનારા દિવસોમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે. એટલે ખેડૂતોની નજર આજની બેઠક પર ટકેલી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ફટકોઆ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંય ગામડાંમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઊપજ્યા નહોતા, આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે. આ પણ વાંચો:માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન,સરકાર પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદશે 2020 અને 2024 કરતાં આ વખતે સ્થિતિ વધારે ખરાબ2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી પેકેજની રકમ વધારવી પડે એમ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રાહત પેકેજ વખતે કઈ રીતે ગણતરી થઈ હતી?ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારે પાક નુકસાનીની ટકાવારી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી. એમાં બિનપિયત ખેતી પાક માટે 33% કે તેથી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 12 હજાર રૂપિયાની સહાય નક્કી કરાઇ હતી. જ્યારે પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 27500 રૂપિયાની સહાય જાહેર કરાઇ હતી. ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવાનું જાહેર કરાયું હતું. જે પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા નક્કી કરાઇ હતી. રાહત પેકજ જાહેર કરવામાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખશેવ્યાપક નુકસાન અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે, કેમ કે જો રકમ ઓછી હશે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધશે, જે સરકારને પોષાય એમ નથી, આથી જ સરકારે ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય એની મહત્તમ ભરપાઈ થઇ શકે એ રીતનું વળતર ખેડૂતોને મળે એવું પેકેજ તૈયાર કરવું. આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારને ચિંતા છે, કેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ આ રાહત પેકેજની કોઇ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય, પણ ગામડાંમાં એની વિશેષ અસર થઇ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું તેમજ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે, જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેકેજ તૈયાર કરાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:39 pm

જામનગર ભાજપ સંગઠન માટે સેન્સ પ્રક્રિયા શરૂ:નિરીક્ષકોએ હોદ્દેદારોના દાવેદારોને સાંભળ્યા, મહાનુભાવો હાજર

ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ સમિતિના નિરીક્ષકો રાજુભાઈ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી) અને વંદનાબેન મકવાણા (કેશોદના પૂર્વ ધારાસભ્ય)એ દાવેદારોને સાંભળ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા સંગઠનના નવા હોદ્દેદારોની પસંદગી માટે મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ રાજ્યમંત્રી પરમાણંદભાઈ ખટ્ટર અને હકુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:37 pm

ભત્રીજાએ કાકી પર લૂંટના ઇરાદે હુમલો કર્યો:ગઢડાના સીતાપર ગામે દેવું ચૂકવવા દાગીના લૂંટવાનો પ્રયાસ, પોલીસે ધરપકડ કરી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે વૃદ્ધ મહિલા પર થયેલા જીવલેણ હુમલાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં વૃદ્ધ મહિલાનો સગો ભત્રીજો જ આરોપી નીકળ્યો છે, જેણે દેવું ચૂકવવાના ઇરાદે લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કાનજી ઉર્ફે કાન્તિ રામજી સતાણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત ૩ નવેમ્બરના રોજ કાનજી સતાણીએ પોતાના સગા કાકીને નિશાન બનાવીને લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી કાનજી સતાણીને મોટું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને પોતાના જ કાકીના કાનમાં પહેરેલા સોનાના દાગીના લૂંટવાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે બોટાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસની ટીમ સાથે આવેલો 'જેની' નામનો ડોગ આરોપીના ઘર પાસે જઈને ઊભો રહેતા પોલીસને કાનજી પર શંકા ગઈ હતી. ડોગ સ્ક્વોડના આ સંકેતને પગલે પોલીસે કાનજી ઉર્ફે કાન્તિની સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી કાનજી સતાણીએ દેવું ચૂકવવાના બદઈરાદાથી કાકી પર હુમલો કર્યાની કબૂલાત કરી હતી. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલે આ અંગે માહિતી આપી હતી અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:36 pm

બાઇકને ફંગોળી ક્રૂઝર કાર વીજ DP સાથે અથડાઈ, CCTV:નોકરીથી ઘરે જઈ રહેલા બાઇકચાલકનું મોત, ગાડીચાલક વાહન મૂકી ફરાર, સારસા-ખંભોળજ રોડ પર અકસ્માત

આણંદ તાલુકાના સારસા-ખંભોળજ રોડ પર ગત રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રૂઝર ગાડીએ બાઈકને ટક્કર માર્યા બાદ બેકાબૂ બની વીજ DP સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે ગાડી ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો છે. જેને પગલે ખંભોળજ પોલીસે ક્રુઝર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક નોકરી પરથી છુટીને ઘરે જતો હતોઉમરેઠના ધોળી ગામમાં રહેતો તુષાર પરમાર સારસા સ્થિત સત્યેન્દ્ર પેકેઝીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. આ તુષાર નિત્યક્રમ મુજબ ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને નોકરીએ ગયો હતો. રાત્રીના એક વાગ્યે નોકરી પરથી છુટી બાઈક લઈને પરત ઘરે જઈ રહ્યો હતો. ક્રૂઝર ગાડીએ ટક્કર મારીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તે સારસા-ખંભોળજ રોડ પરથી પસાર થતો હતો. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થતી ક્રૂઝર ગાડીના ચાલકે તુષારૉના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી તુષાર બાઈક પરથી નીચે પટકાયો હતો અને ઢસડાઈને રોડની સાઈડમાં આવેલા પેટ્રોલપંપના ડિવાઇડર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં તુષારને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ તુષાર પરમારને મૃત જાહેર કર્યાં છે. ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયોઆ બનાવ અંગે મૃતક તુષારના પિતા હસમુખ પરમારે ક્રૂઝર ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાડીની ટક્કરથી વીજ થાંભલો તુટી ગયો, DPમાં ધડાકો થયોબાઇકને ટક્કર માર્યા બાદ બેકાબૂ બનેલી ક્રૂઝર ગાડી થોડે આગળ જઈને રોડની સાઈડમાં વીજ ડી.પી.ના થાંભલા સાથે અથડાઈ હતી. ગાડી અથડાવાથી વીજ થાંભલો તુટી ગયો હતો, તેમજ વીજ ડી.પી માં ધડાકો થયો હતો. જે બાદ ચાલક પોતાની ગાડી સ્થળ પર મુકી ભાગી ગયો હતો. તુષાર સવાર સુધી ઘરે ન આવતાં, અમે તપાસ કરી ને અકસ્માતની જાણ થઈઆ અંગે મૃતકના પિતા હસમુખભાઈ જણાવે છે કે, મારો દિકરો તુષાર રાત્રે એક વાગ્યે નોકરી પરથી છુટી, દોઢ-બે વાગ્યા સુધીમાં ઘરે આવી જતો હોય છે. પરંતુ આજરોજ સવારના સાડા છ વાગે હું પથારીમાંથી ઉઠ્યો, તે વખતે મારો દિકરો તુષાર નોકરી પરથી ઘરે આવ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી મને ચિંતા થતા મેં મારા મોટા દિકરા રાજવીરને કંપનીમાં તપાસ કરવા મોકલ્યો હતો. તે વખતે તુષારનું બાઇક ખંભોળજ-સારસા રોડ ઉપર આવેલી ઇન્ડીયન પેટ્રોલપંપ પાસે રોડ ઉપર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. આ અંગે રાજવીરે પેટ્રોલપંપ ઉપર નોકરી કરતા માણસોની પુછપરછ કરતાં, ક્રૂઝર ગાડીના ચાલકે આ બાઇકને ટક્કર મારી, અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:36 pm

કરમસદમાં વંદે માતરમ્ રાષ્ટ્રગીતના 150 વર્ષની ઉજવણી:મૂળ સ્વરૂપમાં સમૂહગાન સાથે સ્વદેશી અપનાવવા શપથ લેવાયા

ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની રચનાને 7 નવેમ્બરના રોજ 150 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતનું તેના મૂળ સ્વરૂપમાં સમૂહગાન કર્યું હતું. ત્યારબાદ સ્વદેશી અપનાવવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વંદે માતરમ્ માત્ર એક શબ્દ કે સામાન્ય નારો નથી, પરંતુ તે એક ક્રાંતિકારી મંત્ર છે. વંદે માતરમ્ સાંભળતા જ દેશના ૧૪૦ કરોડ લોકોના મનમાં ચેતના જાગે છે. આ ગીત ભારતની આત્માનો નાદ છે અને ભારતના આત્મામાં અનંત ઊર્જા તથા એકતાનો સંકલ્પ જગાવે છે. પટેલે વધુમાં ઉમેર્યું કે, આ રાષ્ટ્રગીતની રચના ૧૮૭૫માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. વંદે માતરમ્ રાષ્ટ્રગીત માં ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવે છે. તેમણે વિકસિત રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા તથા ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સૌને સંકલ્પબદ્ધ થઈને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો અને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:35 pm

સેલ્સમેને ડિસ્ટ્રીબ્યુટર સાથે રૂ. 7.26 લાખની છેતરપિંડી કરી:હેપ્પી મોબાઈલના નામે નકલી બિલ બનાવી 56 ફોનની ઉચાપત કરી

નવસારીના જાણીતા મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટર રામચંદ્ર દાસભાઈ બુધાણીએ તેમના વિશ્વાસુ સેલ્સમેન જેકી લક્ષ્મણભાઈ ધનવાણી સામે રૂ. 7.26 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેલ્સમેને 'હેપ્પી મોબાઈલ' નામની દુકાનના નામે નકલી બિલ બનાવી કુલ 56 મોબાઈલ ફોનની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. નવસારીના છાપરા રોડ પર તુલસીવન સોસાયટીમાં રહેતા 54 વર્ષીય રામચંદ્ર દાસભાઈ બુધાણી વર્ષ 2008થી 'શ્યામ સેલ્યુલર'ના નામે રિયલમી કંપનીના મોબાઈલના નવસારી અને ડાંગ-આહવા જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર તરીકેનો વ્યવસાય ચલાવે છે. તેમની સાથે ચાર કર્મચારીઓ કામ કરે છે, જેમાં જેકી લક્ષ્મણભાઈ ધનવાણી છેલ્લા દોઢ વર્ષથી સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. જેકી ધનવાણીને માસિક રૂ. 25,000નો પગાર મળતો હતો. તેમનું કામ રીટેલ દુકાનોમાંથી ઓર્ડર મેળવી, બિલિંગ સિસ્ટમમાં એન્ટ્રી કરી અને મોબાઈલની ડિલિવરી કરવાનું હતું. આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 'હેપ્પી મોબાઈલ' (માલિક જયમીન બુધાભાઈ પટેલ) દ્વારા રિયલમી 15T 5G મોડેલના મોબાઈલની ખરીદી અંગે પૂછપરછ કરવામાં આવી. જયમીન પટેલે જણાવ્યું કે તેમણે 28 ઓક્ટોબરના રોજ તે મોડેલનો કોઈ ઓર્ડર આપ્યો ન હતો અને તેમને કોઈ ડિલિવરી પણ મળી ન હતી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જેકી ધનવાણીએ 'હેપ્પી મોબાઈલ'ના નામે કુલ 56 મોબાઈલ ફોનના નકલી બિલ બનાવ્યા હતા. આ ફોન તેણે પોતાની પાસે રાખી લીધા હતા અને આશરે રૂ. 7,26,664/- ની છેતરપિંડી આચરી હતી. બુધાણીના જણાવ્યા મુજબ, જેકી ધનવાણીએ 7 થી 8 મોબાઈલ ફોન સુરત ખાતે વેચી નાખ્યા હોવાની કબૂલાત કરી છે, પરંતુ બાકીના મોબાઈલ અંગે સંતોષકારક જવાબ આપ્યો નથી કે માલ પરત કર્યો નથી. આ મામલે રામચંદ્ર બુધાણીએ નવસારી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:33 pm

કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ:આરોગ્ય વિભાગે વધુ સેમ્પલ લીધા, પાણીની ગુણવત્તા પર લાંબા સમયથી પ્રશ્નો

પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કાળકા પમ્પિંગ સ્ટેશનનું પાણી શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટના પાણીની ગુણવત્તા પર લાંબા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા હતા, અને તાજેતરમાં સરોવરમાં મૃત કૂતરા અને માછલીઓ મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. અલ્કેશ સોહલ અને તેમની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. ટીમે પાણીના સેમ્પલ એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી સિદ્ધિ સરોવરમાં ઠાલવી, ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરીને વિતરણ કરાય છે. આરોગ્ય ટીમે સિદ્ધિ સરોવર પમ્પિંગ સ્ટેશન, મોતીસા દરવાજા પમ્પિંગ સ્ટેશન, ઝીણી પોળ અને કાળકા વિસ્તાર સહિત ચાર અલગ-અલગ પમ્પિંગ સ્ટેશન પરથી પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પાણી પુરવઠા બોર્ડની કચેરી, જળભવન ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ચાર સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ડો. અલ્કેશ સોહલે જણાવ્યું હતું કે, ત્રણ સ્થળોના પાણી પીવાલાયક જણાયા છે, પરંતુ કાળકા પમ્પિંગ સ્ટેશનનું સેમ્પલ શંકાસ્પદ આવ્યું છે. આ શંકાસ્પદ રિપોર્ટને પગલે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાળકા વિસ્તારના કાળકા સંપ, નીલ કમલ સોસાયટી અને જીમખાના પાસેની ક્રિષ્ણા રેસિડન્સી એમ ત્રણ અન્ય વિસ્તારોમાંથી ફરીથી પાણીના સેમ્પલ લીધા છે. આ સેમ્પલ પણ જળ વિભાગમાં રિપોર્ટ માટે મોકલી અપાયા છે. ડો. સોહેલે નગરપાલિકાને તમામ પમ્પિંગ સ્ટેશનો પર સમયસર ક્લોરીનેશન કરીને જ શહેરીજનોને પાણી આપવા સૂચના આપી છે. વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા નગરજનોને શંકાસ્પદ પાણીનો મામલો થાળે ન પડે ત્યાં સુધી પીવાનું પાણી ઉકાળીને પીવા વિનંતી કરાઈ છે, જેથી પેટ સંબંધિત તકલીફો ટાળી શકાય. સિદ્ધિ સરોવરમાં બનેલી ઘટના અને કાળકા વિસ્તારના સેમ્પલ શંકાસ્પદ આવતા શહેરભરમાં પાણીની ગુણવત્તા અંગે ચિંતા વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:32 pm

અમરેલીમાં 'વંદે માતરમ્'ના 150 વર્ષની ઉજવણી:રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ સ્વદેશી વસ્તું અપનાવવા લોકોને અપીલ કરી

અમરેલી જિલ્લામાં 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિના અધ્યક્ષો, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.જે.જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં 'વંદે માતરમ્'-૧૫૦ની ઉજવણી થઈ રહી છે. તેમણે 'વંદે માતરમ્'ને ક્રાંતિ મંત્ર ગણાવ્યો હતો, જે દેશના 140 કરોડ નાગરિકોના હૃદયમાં દેશપ્રેમની ભાવના જગાડે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, 'વંદે માતરમ્' એટલે ભારત માતાને અને આ દેશની માટીને નમન કરવાનો ભાવ. આ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની આત્માનો નાદ, અનંત ઊર્જાનો સંકલ્પ અને પવિત્ર ધ્વનિ છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યું હતું અને 'સ્વદેશી અભિયાન' અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રીએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:30 pm

સુરેન્દ્રનગરમાં મહિલાનું ₹83,000નું પાકીટ પરત મળ્યું:નેત્રમ CCTVની મદદથી પોલીસે રિક્ષાચાલક શોધી કાઢ્યો

સુરેન્દ્રનગરમાં નેત્રમ પ્રોજેક્ટની મદદથી એક મહિલાનું ₹83,000ની કિંમતનું પાકીટ પરત કરવામાં આવ્યું છે. વઢવાણ તાલુકાના ખારવા ગામના અરુણાબેન જોષી ખરીદી કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે તેમનું પાકીટ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ પાકીટમાં આશરે દોઢ તોલાની ₹80,000ની કિંમતની સોનાની બુટ્ટીઓ અને ₹3,000 રોકડા મળી કુલ ₹83,000નો કીમતી સામાન હતો. અરુણાબેન જવાહર ચોકથી રિક્ષામાં બેસી એસ.ટી. બસ સ્ટેન્ડ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અંગે નેત્રમ કંટ્રોલ રૂમને જાણ થતાં, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી. સીસીટીવી ફૂટેજની મદદથી અરુણાબેન જે રિક્ષામાં બેઠા હતા તેનો રજિસ્ટ્રેશન નંબર GJ-23-AV-0012 શોધી કાઢવામાં આવ્યો. પોલીસે વાહન માલિકનો સંપર્ક કરીને મૂળ માલિક વિજયભાઈ સોમનાથભાઈ જોષી (અરુણાબેનના પતિ)ને તેમનો કીમતી સામાન પરત કર્યો હતો. પોલીસે આ કામગીરી બદલ પ્રશંસનીય કાર્ય કર્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:28 pm

સિંહ સદનની નકલી સરકારી વેબસાઈટ બનાવી છેતરપિંડી:ઓનલાઈન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે પ્રવાસીઓના લાખો રૂપિયા ખંખેર્યા, ​જૂનાગઢ વન વિભાગના કર્મચારી પણ શિકાર

સાસણ ગીરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરવા અને કુદરતી સૌંદર્યની મોજ માણવા આવતા હોય છે. અહીં આવતા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે ઉત્તમ રહેવા, જમવાની સુવિધા મળી રહે તે માટે ઓનલાઇન બુકિંગ જ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજે સાસણ ગીરના સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસના નામે પ્રવાસીઓ સાથે મોટાપાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા ઠગ ઈસમોએ સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ દેખાતી નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરીને લાખો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી છે. આ ઘટનાને પગલે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગબાજોએ પૈસા પડાવવા સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવી​​સાસણ ગેસ્ટ હાઉસ રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત વન વિભાગના વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર હેઠળ સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસ આવેલું છે. આ ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને રહેવા-જમવાની વ્યવસ્થા અપાય છે, જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી, ન તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે. ​વન વિભાગને સહકર્મચારીઓ મારફતે નકલી વેબસાઈટની જાણ થઈઅજાણ્યા ઠગ ઈસમોએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટો ઊભી કરી હતી. આ વેબસાઈટ પર સંપર્ક માટે વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર મૂકીને પોતે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપવામાં આવતી હતી. ​વન વિભાગને સહકર્મચારીઓ મારફતે આ નકલી વેબસાઈટ વિશે જાણકારી મળી હતી. બાદમાં અનેક પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બન્યાની રજૂઆતો સાથે સામે આવ્યા હતા. આ ત્રણ નોંધાયેલા કિસ્સાઓમાં છેતરપિંડી આચરનાર આરોપીઓએ પ્રવાસીઓ અને વન વિભાગના કર્મચારી પાસેથી અંદાજે રૂ. 28,900ની છેતરપિંડી આચરી છે. જો કે વન વિભાગે અન્ય પ્રવાસીઓની રજૂઆતો પણ મળી હોવાનું જણાવ્યું છે, તેથી છેતરપિંડીની કુલ રકમ લાખોમાં હોવાની સંભાવના છે. ત્રણેય બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ​રેન્જ ફોરેસ્ટ અધિકારી યશ ભરતકુમાર ઉમરાણીયાએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ બનાવટી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉભો કરીને છેતરપિંડી કરવા બદલ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નકલી વેબસાઈટો, વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર અને ત્રણેય બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, જેથી આવા સાયબર ફ્રોડથી વધુ નાગરિકો ભોગ ન બને. ​આ મામલે પોલીસે નકલી વેબસાઇટ્સ બનાવનાર અને વાપરનાર, વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર બનાવનાર તેમજ તમામ બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:25 pm

વેરાવળના આદરી બીચ પર મોટી દુર્ઘટના:પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન દરિયમાં 5 લોકો તણાયા, 1 યુવતી લાપતા; શોધખોળ ચાલું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે ચાર યુવકોને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફોટોશૂટ દરમિયાન અચાનક ઊંચી લહેરો આવીપ્રાથમિક માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો. ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઉછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાર યુવકોનો આબાદ બચાવ, યુવતીની શોધખોળ ચાલું ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સંયુક્ત બચાવ કામગીરીના પરિણામે પાંચ પૈકી ચાર યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, રહે: નવાપરા ગામ, હજુ પણ લાપતા છે. દરિયામાં લાપતા બનેલ યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા અને વર પક્ષ અને વધુ પક્ષના લોકો પ્રિવેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીચ પર સુરક્ષા વ્યવસ્થાની માંગઆદરી બીચ પર આ ઘટનાથી સ્થાનિકોમાં ઊંડી ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ દરિયા કિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ લગાવવા અને ગાર્ડ્સની નિમણૂક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:22 pm

પોરબંદરમાં ચોરાયેલી મોટરસાઇકલનો ગુનો ઉકેલાયો:આરોપી આકાશ સોલંકી ઝડપાયો, સ્કૂટર કબજે કરાયું

પોરબંદરમાં વિમાર્ટ શોરૂમ પાસેથી ચોરાયેલી મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. કમલાબાગ પોલીસે આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી નામના આરોપીને ઝડપી પાડી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ ઘટના વિમાર્ટ શોરૂમ પાસેથી બની હતી, જ્યાં એક અજાણ્યા ચોરે મોટરસાઇકલની ચોરી કરી હતી. આ અંગે કમલાબાગ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ, પોલીસે સર્વેલન્સ સ્ટાફની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમ ઇન્દિરાનગર રાજવી પ્લોટ વિસ્તારમાં જોવા મળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી આકાશ ઉર્ફે ચોટીયારો મુકેશ સોલંકી પાસેથી ચોરાયેલું સ્કૂટર કબજે કર્યું છે. આ કાર્યવાહીથી સ્કૂટર ચોરીનો અનડિટેક્ટેડ કેસ ડિટેક્ટ થયો છે. આ ગુનાને ઉકેલવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા, સર્વેલન્સ PSI એ.એ. ડોડીયા, અને સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. એસ.એ. બકોત્રા, પો.હેડ કોન્સ. એન.ટી. ભટ્ટ, બી.પી. માળીયા, સી.જી. મોઢવાડીયા, એસ.એમ. જાંબુચા, પો.કોન્સ. સાજન રામશી, વિજય ખીમા, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, સુરેશ કીશા, વુ.પો.કોન્સ. દક્ષાબેન ગીજુ તથા નેત્રમ (કમાન્ડ કંટ્રોલ) પોલીસ સ્ટાફ સહિતના પોલીસકર્મીઓ કાર્યરત હતા. સ્થાનિક લોકો દ્વારા કમલાબાગ પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહી બદલ પ્રશંસા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:15 pm

અભયમે વધુ એક ઘર તૂટતું બચાવ્યું:પતિ નશો કરીને મિત્રો સાથે ઘરે આવતો પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો, પોલીસને જોઈ માફી માંગી

સુરત અમરોલી વિસ્તારમાંથી એક પીડિતાબેને 181 અભયમમા ફોન કરી જણાવ્યું કે, તેમના પતિ વ્યસન કરીને આવી હેરાન કરે છે ઝઘડો કરે છે. મદદની જરૂર છે. જેથી સુરત અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડિત બેનની મદદે પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. સ્થળ પર હાજર પીડિતાબેન પાસેથી જાણવા મળ્યું કે, તેમના પતિ શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે. તેમના લગ્ન જીવનને 25 વર્ષ થયા છે. પતિ ડાઈંગ- પેન્ટિંગ મિલમાં કામ કરે છે અને નશો કરીને ઘરે આવી ઝઘડો કરી પીડિતાબેનને ગમે એવા અપશબ્દો બોલી ગાળો આપતા તેમજ ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી લેતા હતા. 15 દિવસથી પીડિતાના પતિ નશો કરી ઘરે આવતાપીડિતાબેનના પતિ તેમના મિત્રોને પણ દારૂનું વ્યસન કરાવીને તેમના ઘરે લઈને આવતા જે પીડિતાબેનને ગમતું નહોતું. જેથી, તેઓ તેમના પતિને મિત્રોને નશો કરાવીને તેમના ઘરે ન લાવવા માટે કહેતા હતા તેમજ નશો કરવાનું છોડી દેવા માટે સમજાવતા હતા પરંતુ, પીડિતાબેનના પતિ તેમની કોઈ વાત માનતા નહીં અને તેની સાથે ઝઘડો કરી ગાળો આપતા. તારાથી થાય તે કરી લે તેમ કહી ધમકી આપતા રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પીડિતાબેનના પતિ ખૂબ જ નશો કરે છે અને ઘરે પણ મોડા આવતા. પતિ સમજતા ન હોવાથી પીડિતાએ અભયમનો સંપર્ક કર્યોગઈકાલે પણ પીડિતાબેનના પતિ ખૂબ જ વ્યસન કરીને અને તેમના મિત્રને પણ વ્યસન કરાવીને ઘરે લઈને આવેલ અને પીડિતાબેન સાથે ઝઘડો કરી અને હાથ ઉપાડ્યો હતો. પતિ સમજતા ન હોવાથી પીડિતાબેને તેમને સમજાવવા અભયમ ટીમમાં ફોન કરી મદદ માંગી હતી. જેથી સુરત અભયમ ટીમે ઘટના સ્થળે પીડીતાબેનના પતિનું કાઉન્સેલિંગ કરી તેમને નશો કરવાનો છોડી દેવા તેમજ મિત્રોને પણ વ્યસન કરાવીને ઘરે ન લાવવા માટે સમજાવ્યા હતા. પત્ની પર હાથ ન ઉપાડવા, તેમજ શારીરિક માનસિક ત્રાસ ન આપવા માટે સમજાવ્યા હતા. પતિને ભૂલ સમજાતા પત્ની પાસે માફી માગી સુધરી જવાની ખાતરી આપી પીડિતાબેનના પતિને તેમની ભૂલ સમજાતા તેણે પત્ની પાસે માફી માગી સુધરી જવાની ખાતરી આપી છે. તેણે જણાવ્યું કે, તે નશો કરવાનું છોડી દેશે તેમજ મિત્રોને પણ નશો કરાવી ઘરે લાવશે નહી અને પત્ની પર હાથ ઉપાડશે નહીં. ઘરમાં ઝઘડો કર્યા વગર સારી રીતે અને શાંતિથી રહેશે. ત્યારબાદ પીડિતાબેન અને તેમના પતિને કાયદાકીય માહિતી આપી જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતો. પીડિતાબેનના પતિ સમજી જતા તેમણે અભયમ ટીમનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:12 pm

દાહોદ કલેક્ટર કચેરીમાં વંદે માતરમનું સમૂહગાન:અધિકારીઓ-કર્મચારીઓએ સ્વદેશી ઉપયોગના શપથ લીધા

દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને અન્યોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાનો શપથ લીધો હતો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા “વંદે માતરમ @150” ઉજવણી અંતર્ગત યોજાયો હતો. રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા આ ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. આ અંતર્ગત દાહોદ જિલ્લામાં જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પોલીસ અધિક્ષક કચેરી સહિતની સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રગીતના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા અને જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દેશપ્રેમની ભાવના સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:10 pm

કલોલના સઈજ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું:ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે 1.24 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી, ચાર ફરાર

કલોલ તાલુકા પોલીસની ગાઢ નિંદ્રામાં સઈજ ગામની સીમમાં ધમધમતા જુગાર ધામ ઉપર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાચે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી બે ઈસમોની રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કુલ 1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર ઇસમો નાસી જવામાં સફળ રહ્યા છે. કલોલના સઈજ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયુંગાંધીનગર જીલ્લાના કલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી હોવાની સ્થાનિકોમાં વ્યાપક બુમરાણ ઉઠતા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી છે. જે અન્વયે એલસીબી પીઆઇ ડી બી વાળાની ટીમ અલગ અલગ ટીમો કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. સ્થાનિક પોલીસ ગાઢ નિંદ્રામાંદરિમયાન બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી સઇજ ગામની સીમમાં જોઈતાભાઇ સોમાભાઇ દંતાણીના ઘરની સામે ખરાબા ની જગ્યામાં મોટાપાયે જુગારધામ ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમ સઇજ ગામની સીમમાં વાહનો દૂર ઊભા રાખીને ચાલતા ચાલતા જુગારધામ સુધી પહોંચી હતી. જોકે રોજિંદી જગ્યાથી વાફેક હોવાના કારણે જુગારીઓ ખાનગી વેશમાં પોલીસ ત્રાટકી હોવાનું જાણીને અંધારાનો લાભ લઈ નાસવા માંડ્યા હતાં. બે જુગારીઓ ઝડપાયા 4 ફરારજેના લીધે પોલીસ અને જુગારીઓ વચ્ચે દોડધામ મચતા બે જુગારીઓ હાથમાં આવી ગયા હતા. જ્યારે ચાર જુગારી નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં બંને જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ વિષ્ણુજી કાળાજી ઠાકોર,રમેશજી સતુજી રાઠોડ (બંને રહે. ભોયણ રાઠોડ ગામ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી છૂટેલા જુગારીઓ કરણસિંહ મગનજી રાઠોડ (રહે.ભોયણ રાઠોડ ગામ),જસવંતસિંહ પ્રતાપસિંહ વાઘેલા (રહે.કલોલ શહેર, સ્નેહકુંજ સોસા. ઈન્દીરાનગરના છાપરા), સુરેશજી ભગાજી ઠાકોર અને દિપકસિંહ મોહબતસિંહ ચૌહાણ (બને રહે. ગામ ભોયણ રાઠોડ) હોવાની પણ કેફિયત વર્ણવી દીધી હતી. 1.24 લાખના મુદ્દામાલ જપ્તબાદમાં એલસીબીએ જુગારધામ ખાતે વધુ તપાસ કરતા ત્રણ ટુ વ્હીલર ઉપરાંત બને જુગારીઓ ની અંગ ઝડતી અને દાવ પરથી રૂ.29,650 રોકડા અને મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેના પગલે એલસીબીએ બંને જુગારીઓની કુલ રૂ.1,24,650 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં વોન્ટેડ ચાર ઇસમો વિરુધ પણ ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:10 pm

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે દબાણ હટાવ્યું:પોલીસની કાર્યવાહી બાદ ગાંધીધામના કિડાણા ગામમાં શખ્સે સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કર્યું

ગાંધીધામના કિડાણા ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લીયાજત કાસમ ચાવડા નામના શખ્સે જાહેર માર્ગ પર કરેલું ગેરકાયદેસર અતિક્રમણ સ્વેચ્છાએ દૂર કર્યું છે. આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસની સૂચના હેઠળ ગાંધીધામ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી. ચાવડાએ કિડાણા મુસ્લિમ સમાજના સ્મશાન સામે, પોતાના ઘર પાસે જાહેર રોડની સાઈડમાં આ દબાણ કર્યું હતું. તેણે આશરે 180 ચોરસ ફૂટ (20 વાર) વિસ્તારમાં દીવાલ બનાવી વરંડો વાળી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. આ દબાણની બજાર કિંમત આશરે 2 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. લીયાજત કાસમ ચાવડાનો ગુનાહિત ઇતિહાસ નોંધપાત્ર છે. તેના વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોંજીયા અને તેમના સ્ટાફે આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 4:08 pm

પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે લાભાર્થીના ઘરે ભોજન લીધું:છોટા ઉદેપુરના ધંધોડામાં સરકારી યોજનાઓની માહિતી મેળવી

છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે આજે ધંધોડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિના એક લાભાર્થીના ઘરે ભોજન લીધું અને પરિવાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મેળવેલા લાભો વિશે માહિતી મેળવી.દરમિયાન ત્યાં પ્રભારી મંત્રીએ જાતે રોટલા ઘડીને મહેમાનગતિ માણી હતી. પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ ગઈકાલથી જિલ્લાની મુલાકાતે છે. આજે તેમણે સેવા સદન ખાતે રાષ્ટ્રગીતના 150 વર્ષની ઉજવણી પૂર્ણ કર્યા બાદ ધંધોડા જવા રવાના થયા હતા. ધંધોડા પહોંચીને, તેઓ ડૉ. આંબેડકર આવાસ યોજનાના એક લાભાર્થીના ઘરે ગયા. ત્યાં તેમણે લાભાર્થીઓ સાથે સરકારી યોજનાઓથી મળેલા ફાયદાઓ અંગે વિગતવાર ચર્ચા કરી અને તેમના ઘરે પોતે રોટલા બનાવ્યા હતા અને ભોજન ગ્રહણ કર્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા પણ પ્રભારી મંત્રી સાથે ભોજનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રભારી મંત્રી બન્યા બાદ મનીષાબેન વકીલની જિલ્લામાં આ પ્રથમ મુલાકાત હતી. તેમણે સીધા લાભાર્થીના ઘરે જઈને તેમની સાથે ચર્ચા કરતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:57 pm

‘1’ નંબર લેવા ડિફેન્ડરના માલિકની 24.78 લાખની બોલી:999 માટે ગુજરાતની પહેલી B6 બેટમેન એડિશનના માલિકે 3.44 લાખ ખર્ચ્યા, રાજકોટ RTOમાં નંબર લેવા પડાપડી

રાજકોટ શહેરમાં ફોર વ્હીલરના પસંદગીના નંબરો લેવા માટે જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. RTOમાં તાજેતરમાં ફોર વ્હીલરમાં નવી PM સિરીઝ આવતા પસંદગીના નંબરો લેવા માટે બોલી લગાવવામાં આવી રહી છે. જેના થકી રાજકોટ RTOને રૂપિયા 54 લાખથી વધુની આવક થઈ છે. ફોર-વ્હીલરમાં નંબર 1 લેવા માટે ગ્રાહકે સૌથી વધુ રૂપિયા 24.78 લાખ જ્યારે નંબર 5 માટે રૂપિયા 5 લાખ 92 હજાર બોલી લગાવવામાં આવી છે. હવે આગામી એક સપ્તાહની અંદર આ રકમ ભરપાઈ કરવાની રહેશે, જો પૂરતી રકમ ભરપાઈ ન થાય તો જે તે નંબર માટે ફરી રી-ઓક્શન થઇ શકે છે. ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરોમાં ‘1’ નંબરની બોલબાલા રાજકોટ જિલ્લા RTO તંત્રએ ફોર વ્હીલરની ‘PM’ સિરીઝ જાહેર કરી છે આ સિરીઝમાં પસંદગીનાં નંબરોની ફાળવણી કરવામાં આવી છે. ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરો થકી રૂ.54 લાખથી વધુની બોલી બોલાઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરોમાં ‘1’ નંબરની બોલબાલા રહી હતી જેના માટે પ્રકાશભાઈ ચાવડા દ્વારા 24.78 લાખની બોલી બોલાઈ છે. જયારે 5 નંબર માટે 5.92 લાખ, 555 નંબર માટે 5.08 લાખ, 1111 નંબર માટે 4.81 લાખની બોલી બોલાઈ છે. પસંદગીનાં નંબરો માટે 54 લાખથી વધુની બોલી બોલાઈ આ ઉપરાંત 99 નંબર માટે રૂ.3.91 લાખ, તથા 999 નંબર માટે રૂ.3.44 લાખ, 7777 નંબર માટે રૂ.3.41 લાખ, 8888 નંબર માટે રૂ.2.80 લાખ, 19 નંબર માટે 2.51 લાખ, 73 નંબર માટે 2.11 લાખ, 7000 નંબર માટે 1.63 લાખ, 2 નંબર માટે 1.60 લાખ, 11 નંબર માટે 1.28 લાખ, 12 નંબર માટે 1.07 લાખ અને 5555 નંબર માટે 1.01 લાખ બોલી બોલાઈ છે. ગુજરાતમાં પહેલી B6 બેટમેન એડિશન આવીઉલ્લેખનીય છે કે, રાજકોટમાં GJ.03.પીએમ સિરીઝમાં 1 નંબર માટે સૌથી વધુ બોલી 24.78 લાખની બોલનાર પ્રકાશભાઈ પ્રભાતભાઈ ચાવડા દ્વારા કાળા કલરની ડિફેન્ડર કાર ખરીદ કરવામાં આવી છે, જયારે 999 નંબર માટે 3.44 લાખની બોલી લગાવવામાં આવી હતી અને આ નંબર કાળા કલરની ગુજરાતની પહેલી B6 બેટમેન એડિશનના માલિક નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:57 pm

ગુજરાતમાં સૌપ્રથમ અનોખો કાર્યક્રમ:રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવનાર 200 શ્રેષ્ઠ આચાર્યોનું રાજકોટ ખાતે ભવ્ય સન્માન કરાશે, 16000 કરતા વધુ શાળામાંથી કરાઈ છે પસંદગી

ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસો. દિલ્હી, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત અને રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એક અનોખા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શિક્ષણના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર ગુજરાતની 16000થી વધુ ખાનગી શાળાઓમાંથી પસંદગી પામેલા આશરે 200 જેટલા શ્રેષ્ઠ આચાર્યોને સન્માનિત કરવા માટેનો એક ભવ્ય સમારોહ આગામી 29 નવેમ્બર 2025ના રોજ રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાશે. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પુરષોત્તમ રુપાલાને આમંત્રિત કરવામાં આવશે. એવોર્ડ સમારોહનો મુખ્ય ઉદ્દેશ આ અંગે ગુજરાત મહામંડળના પ્રમુખ જતિનભાઇ ભરાડએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ આચાર્યોને એવોર્ડથી સન્માનિત કરવાનો મુખ્ય ઉદ્દેશ તેઓના ઉત્કૃષ્ટ કાર્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અપાર યોગદાનની સરાહના કરવાનો છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પરંતુ તે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે પ્રેરણા અને ઉત્સાહ લાવવાનું કાર્ય કરશે. આચાર્યોનું કાર્ય માત્ર શિક્ષણ આપવાનું જ નથી, પરંતુ શાળાનું સુચારુ સંચાલન કરી શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓના દ્રષ્ટીકોણને સમજી સચોટ નિર્ણયો લઈને શિક્ષણ જગતના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જવાબદારીનું નિર્વાહન કરવાનું હોય છે. ટૂંકમાં, આચાર્ય શાળા અને સમાજ વચ્ચેનો એક મહત્વપૂર્ણ સેતુ છે, અને તેમના આ યોગદાનને બિરદાવવું અત્યંત આવશ્યક છે. શ્રેષ્ઠ આચાર્યની પસંદગીના માપદંડો સેવા અને નેતૃત્વ: આચાર્ય તરીકેની સેવા અને તેમના નેતૃત્વ હેઠળ શાળાના વિકાસની સફર. વિદ્યાર્થી પ્રદર્શન: નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સુધારો અને છેલ્લા 3 વર્ષના બોર્ડના પરિણામો. શિક્ષક સશક્તિકરણ: શિક્ષકોને સક્ષમ બનાવવા માટે તાલીમ, માર્ગદર્શન, મૂલ્યાંકન અથવા પ્રોત્સાહન જેવા પગલાં. સર્વાંગી વિકાસ: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ. ટેક્નોલોજી અને નવીનતા: શિક્ષણ અથવા વહીવટમાં ટેક્નોલોજીનો ઉપયોગ, નવી પદ્ધતિઓ કે નવીન પ્રયોગો. સામાજિક જોડાણ: વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ સાથેના જોડાણ અથવા સામાજિક જવાબદારીની પહેલ. સકારાત્મક વાતાવરણ: શાળામાં સકારાત્મક, મૂલ્યઆધારિત અને સર્વસમાવેશી વાતાવરણ જાળવવા માટે લીધેલી પહેલ. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ: તેમના નેતૃત્વ હેઠળ રમતગમત, કલા અથવા અન્ય સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હાંસલ થયેલ સિદ્ધિઓ. શાળાની સિદ્ધિઓ: શાળાએ મેળવેલા પુરસ્કારો, માન્યતાઓ અથવા વિશિષ્ટ સિદ્ધિઓ. એજ્યુકેશન એક્સલન્સ કોન્કલેવ અને વિચારમંથન શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર સમારોહની સાથે જ એજ્યુકેશન એક્સલન્સ કોન્કલેવનું પણ આયોજન કરવામાં આવશે. આ કોન્કલેવ અંતર્ગત શૈક્ષણિક જગતના માંધાતાઓની ઉપસ્થિતિમાં વિચારોનું આદાન-પ્રદાન તેમજ શિક્ષણ જગતના પ્રશ્નો પર વિચારમંથન સત્રોના પણ આયોજન કરવામાં આવશે. આ સત્રોમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો અને શૈક્ષણિક નીતિ નિર્માતાઓ એકત્ર થઈને વિચારોની આપલે કરશે. આનાથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ શોધવા પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરવાની તક મળશે. આ એકેડમિક કોન્કલેવનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વર્તમાન પડકારોનો ઉકેલ લાવવા માટે એક મંચ પૂરો પાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:57 pm

ભરુચની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ:અનેક ગેરરીતિઓ સામે આવતાં PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ સસ્પેન્ડ કરાયું

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતાં વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું, દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેક્નિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું.વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી. આ ઉપરાંત,હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું.આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમા હોસ્પિટલનું PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી મુજબ,સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી આ હોસ્પિટલ લાંબા સમયથી ચાલતી હોવા છતાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવી ન હતી,જેના કારણે ગેરરીતિઓ ચાલુ રહી હતી.આ કાર્યવાહી બાદ જિલ્લામાં ની અન્ય ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં ચકચાર મચી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરતી અન્ય સંસ્થાઓ સામે પણ તબક્કાવાર કડક પગલા લેવામાં આવશે. વધુમાં આજે ભરૂચ નગર પાલિકાની ફાયર વિભાગના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને ફાયર સેફટી સાધનોની પણ ચકાસણી કરી હતી.આ અંગે હેડ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ અમારા દ્વારા ઇન્સ્પેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં હોસ્પિટલમની બિલ્ડિંગની ઊંચાઈ 9 મીટર કરતાં ઓછી અને 500 સ્ક્વેર મીટરનો એરિયા ધરાવતી ન હોય તેને એનઓસી લેવાની જરુર નથી.પરતુ ફાયર સિસ્ટમ તેના અનુરૂમ ન હોય તેમને નોટિસ આપી સેલ્ફ ડિકલેરેશન આપવાનું જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:55 pm

પાટડીની ખારાઘોડા કેનાલમાં ગાબડાં, બાવળનો અડીંગો:પાણી છોડાય તે પહેલાં જીરાના પાકને નુકસાનની ભીતિ

પાટડીની ખારાઘોડા માઇનોર 6 નંબર કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ગાબડાં અને બાવળનો અડીંગો જોવા મળ્યો છે. જીરાના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં, કેનાલની આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તંત્ર ઝાલાવાડ પંથક અને ખાસ કરીને રણકાંઠાના 89 માંથી 87 ગામોને નર્મદાના પાણીનો લાભ મળ્યાનો દાવો કરે છે. જોકે, રણકાંઠામાં બનેલી કેનાલોના નબળી ગુણવત્તાના કામને કારણે પાણી છોડાય તે પહેલાં જ 25 થી વધુ કેનાલો તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં રણકાંઠા વિસ્તારની કેનાલોમાં 13 જેટલા ગાબડાં પડ્યાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ ગાબડાંને કારણે ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા પાકને નુકસાન થયું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી નર્મદા કેનાલ રણકાંઠાના ખેડૂતો માટે અભિશાપ સમાન બની રહી છે. પાટડીની ખારાઘોડા કેનાલની વર્તમાન સ્થિતિ જોતા, નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરાવવા, બાવળ કાપવા અને સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા વ્યાપક માંગ કરવામાં આવી છે. આ અંગે ખેડૂત આગેવાન નવઘણભાઈ ઠાકોર, નારણભાઇ પટેલ અને મનીષભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, ખેડૂતોને એકબાજુ કમોસમી માવઠાનો માર પડ્યો છે, એવામાં હાલ જીરાને પાણીની જરૂર છે. ત્યારે આ કેનાલના ગાબડાં રિપેરિંગ કરી, બાવળ કટીંગ અને કેનાલની સઘન સફાઈ કરવામાં આવે તેવી અમે નર્મદા વિભાગ પાસે માંગ કરી છે. જ્યારે આ અંગે નર્મદા વિભાગના અધિકારી સંજયભાઈનો સંપર્ક કરતા, તેમણે ફોન ઉપાડીને જણાવ્યું કે તેઓ હાલ એક મીટીંગમાં છે અને થોડીવારમાં કોલ કરશે, એમ કહી ફોન કટ કરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:51 pm

સુરત પોલીસ કમિશનરે ભુજના સરહદી ગામોની મુલાકાત લીધી:ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થાનિક પ્રશ્નોથી અવગત થયા

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના આહવાનથી ભુજ નજીકના રણકાંઠે આવેલા સરહદી ગામો હાજીપીર, ભીટારા અને આસાસની મુલાકાત લીધી હતી. તેમણે આ ગામોના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો અને સુખાકારી અંગે જાણવાનો હતો. કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ગ્રામજનોને ખાતરી આપી હતી કે, રાજ્ય સરકાર સરહદી વિસ્તારોના દરેક ઘર સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને તેમના વિચારો સરકાર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે વાલીઓને બાળકોના શિક્ષણ પર ભાર મૂકવા વિનંતી કરી, જણાવ્યું કે શિક્ષણથી આ વિસ્તારમાં આવેલી કંપનીઓમાં તેમના બાળકોનું ભવિષ્ય સુધરશે. આ મુલાકાત દરમિયાન, કમિશનર અનુપમ સિંહ ગેહલોતે હાજીપીર દરગાહ પર માથું ટેકવી સૌના કલ્યાણ માટે દુઆ માંગી હતી. હાજીપીર અને ભીટારા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફૂલહાર અને બન્નીની ગોદડી અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભુજ બી ડિવિઝનના પીઆઇ રાણા સાહેબ, બીએસએફ કમાન્ડર પ્રવેશ કુમાર, આઈબીના કુમારી રાઠોડ, ભીટારા સરપંચ ખુશી મામદ જત, અલા જોડીયા લોંગ અમીનભાઈ જત, ભગાડીયા મામદજત, ઉધમા હારુન માખી, અમીન ભાઈ અબ્રદેમાન જીયેજા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા વિભાગના હર્ષલ બોરા, પીએચસીના પિન્કીબેન પટેલ, ચિરાગભાઈ પરમાર, હરેશભાઈ, હાજીપીર પોલીસ સ્ટેશનના દિનેશભાઈ ચૌધરી, કિરણભાઈ નાઈ અને ઋતરાજ સિંહ સોઢાએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન ઉમેશ આચાર્યએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:46 pm

પેસેન્જર બેસાડવાની બાબતે રિક્ષા ચાલકને માર માર્યો:રેઈનબો હોટલ પાસે બોલાવીને લાકડીઓ ફટકારી, ચાર શખ્સ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

અડાલજના ત્રિમંદિર પાસે પેસેન્જર બેસાડવા જેવી બાબતમાં અદાવત રાખી રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાની સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતમાં કિરણ પરમાર નામના રીક્ષા ચાલકને રેઈનબો હોટલની પાસે લઈ જઈ અવાવરું જગ્યામાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ચાર લોકોએ રીક્ષા ચાલકને ઢોર માર મારતા ફરિયાદી કિરણ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદી કિરણ પરમારે પુના પરમાર, મંગો પરમાર સહિત બે અજાણ્યા શખ્સ વિરોધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેસેન્જરને રિક્ષામાં બેસાડવા બાબતે બબાલ2 નવેમ્બરના બપોરના સમયે અડાલજ ત્રિમંદિર બસ સ્ટેશન પાસે ફરિયાદી કિરણ પરમારની પુના પરમાર સાથે બોલાચાલી થઈ હતી. બે જેટલા પેસેન્જરને ફરિયાદીએ તેના બનેવીની રિક્ષામાં બેસાડ્યા હતા. જેને લઇને પુના પરમારે રિક્ષામાં પેસેન્જર કેમ બેસાડ્યા તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. જોકે બોલાચાલી બાદ ફરિયાદીને ગોતા જવાનું હોવાથી પુના પરમારની જ રિક્ષામાં બેસી ગયો હતો. રિક્ષામાં એક મહિલા પણ સવારી કરી રહી હતી તેને વૈષ્ણોદેવી સર્કલ પાસે અન્ય રિક્ષામાં બેસાડી દેવામાં આવી હતી. જે બાદ કિરણ પરમારને રિક્ષા ચાલક પુના પરમાર રીંગરોડની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર લઈ ગયો હતો. અવાવરું જગ્યામાં રીક્ષા પાર્ક કરી ને લાકડાથી ઢોર માર માર્યોજ્યાં બે અજાણ્યા શખ્સો પણ તેની રિક્ષામાં આવીને બેસી ગયા હતા. તેમજ મંગા પર મારે બોલાચાલી કરી ફરિયાદી સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યાંથી ફરિયાદીને રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યામાં રીક્ષા પાર્ક કરી ઢોર મારવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદીના પાસે ખિસ્સામાં રહેલા 10 હજાર રૂપિયા પણ મારામારી દરમિયાન પડી ગયા હતા. લાકડીઓ વડે માર મારવાના કારણે ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈસામાન્ય બાબતે લાકડીઓ વડે ઢોર મારવામાં આવતા ફરિયાદી કિરણ પરમારે પુના પરમાર, મંગો પરમાર સહિત બે અજાણ્યા શખ્સ વિરોધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Nov 2025 3:35 pm