SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

ભરૂચમાં નો-મેપિંગ નોટિસ: કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી:ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચ જિલ્લામાં SIR પ્રક્રિયા દરમિયાન નો-મેપિંગ અને લોજિસ્ટિક કારણોસર મતદારોને અપાયેલી નોટિસ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે, આ પ્રક્રિયા મતદાન મથક પર જ બીએલઓ મારફતે સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં એક લાખથી વધુ મતદારોને નો-મેપિંગ બાબતે નોટિસ આપવામાં આવતા ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે, અનેક મતદારોએ પહેલેથી જ બીએલઓ પાસે જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં તેમને ફરીથી નોટિસ આપવામાં આવી રહી છે. જેના કારણે વૃદ્ધ, બીમાર અને દિવ્યાંગ મતદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસે માંગ કરી હતી કે, જેમના દસ્તાવેજો જમા થયા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે તથા બાકી પ્રક્રિયા મતદાન મથક પર જ પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. આ બાબતે નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં કુલ 1,04,299 મતદારોને નો-મેપિંગના કારણે નોટિસ આપવામાં આવી છે. તેમાંથી અત્યાર સુધી અંદાજે 52 હજાર મતદારોના દસ્તાવેજો મળી ગયા છે. સિસ્ટમમાં નામ કે અટકમાં ફેરફાર જેવા મુદ્દાઓ હોય તેવા મતદારોના દસ્તાવેજો લેવામાં આવી રહ્યા છે અને જરૂરી હોય ત્યારે જ મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:28 pm

બ્રહ્મક્ષત્રિય પ્રવાસ સમિતિએ લક્ષ્મીવિલાસ મહેલની મુલાકાત લીધી:અમદાવાદ, વડોદરા, ભરૂચના 45 જ્ઞાતિજનો મંત્રમુગ્ધ થયા

બ્રહ્મક્ષત્રિય પ્રવાસ સમિતિના સભ્યોએ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ મહેલની મુલાકાત લીધી. આ મુલાકાતમાં અમદાવાદના 37, વડોદરાના 4 અને ભરૂચના 4 સહિત કુલ 45 જ્ઞાતિજનો જોડાયા હતા. આ પ્રવાસ સમિતિએ રીસોર્ટ અને પિકનિકના પરંપરાગત ખ્યાલથી અલગ માર્ગ અપનાવીને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત પર ભાર મૂક્યો હતો. જ્ઞાતિજનોએ 135 વર્ષ જૂના ભવ્ય લક્ષ્મીવિલાસ મહેલની ભવ્યતા નિહાળી હતી. આ મહેલ ભારતના રેતિયા પથ્થર, ઇટાલિયન મોઝેક, ઇસ્લામિક લેકર સીલિંગ, બેલ્જિયમના ઝુમ્મર અને ભારતીય પૌરાણિક પેઇન્ટિંગ્સથી સુસજ્જ છે. આર્કિયોલોજીકલ અને પ્રાકૃતિક ઇતિહાસને ઉજાગર કરતા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી પણ તેમણે નિહાળી હતી. આ ભવ્યતા જોઈને તમામ જ્ઞાતિજનો મંત્રમુગ્ધ થયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:17 pm

ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તાલીમ કાર્યક્રમ:સંશોધન પદ્ધતિઓ અને ટેકનિકલ લેખન પર 5 દિવસીય આયોજન

સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 5 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન પાંચ દિવસીય પ્રાધ્યાપક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. GUJCOST (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ગાંધીનગર અને ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (DTE), ગાંધીનગર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો વિષય રીસર્ચ મેથડોલોજી એન્ડ ટેકનિકલ રાઈટિંગ (RMTW-2026) છે. આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના પ્રાધ્યાપકો ભાગ લેશે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), NIT, VNSGU, SCET યુનિવર્સિટી અને સરકારી કોલેજોના નિષ્ણાતો તેમજ ફિલ્ડ એન્જિનિયરો વિવિધ વિષયો પર તેમના વક્તવ્ય આપશે. આ તાલીમનો મુખ્ય હેતુ ભાગ લેનારાઓને સંશોધન પદ્ધતિઓની વ્યવસ્થિત સમજ આપવાનો છે. આનાથી તેઓ ગુણાત્મક અને પરિમાણાત્મક સંશોધનને વૈજ્ઞાનિક અને સુઆયોજિત રીતે હાથ ધરી શકશે. તાલીમ દ્વારા સંશોધકોમાં યોગ્ય ડેટા સંગ્રહ, વિશ્લેષણ અને અર્થઘટનની કુશળતા વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, ટેકનિકલ લેખન ક્ષમતામાં સુધારો કરીને સંશોધન લેખો, પ્રોજેક્ટ રિપોર્ટ્સ અને થીસીસને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવાની સમજ પણ આપવામાં આવશે. આ તાલીમ સંશોધકોની સંશોધન ક્ષમતા વધારવામાં અને ગુણવત્તાયુક્ત સંશોધન કાર્ય માટે તેમને સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. આ કોર્સ સંશોધન પદ્ધતિઓ, ટેકનિકલ લેખન અને ડેટા વિશ્લેષણ પર કેન્દ્રિત રહેશે. તેમાં સંશોધન શું છે, સંશોધનમાં કોપીરાઈટ, સંશોધન સમસ્યા કેવી રીતે મેળવવી, સંશોધન માટે વિષયની પસંદગી, એન્જિનિયરિંગમાં સંશોધન, સંશોધન રિપોર્ટ કેવી રીતે લખવો, જર્નલ અને કોન્ફરન્સ પેપર કેવી રીતે લખવા, સંદર્ભો કેવી રીતે દર્શાવવા અને સંશોધન માટે ગ્રાન્ટ કેવી રીતે મેળવવી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રાધ્યાપક તાલીમ કાર્યક્રમનું સમગ્ર આયોજન સિવિલ વિભાગના ડૉ. દર્શન મહેતા અને ડૉ. હરેશ ગોળકીયા દ્વારા વિભાગના વડા ડૉ. સહિતા વાયખોંમ અને પ્રિન્સિપાલ ડૉ. સંજય જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:15 pm

માળિયાના 7 ગામના ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ:ખાનગી વીજ કંપની સામે વળતર મુદ્દે રોષ; વીજલાઇનના પોલ માટે પૂરતું વળતર આપવા માગ

મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકાના સાત ગામના ખેડૂતોએ આજે મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ ભાજપના આગેવાનો સાથે મળીને ખાનગી વીજ કંપનીની લાઇનના પોલ ઊભા કરવા સામે પૂરતા વળતરની ગ કરી છે. કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઇન માળીયા (મી) તાલુકાના ઘણા ગામોના ખેતરોમાંથી પસાર થઈ રહી છે. ખેડૂતોને વીજપોલ ઊભા કરવા માટે નોટિસો મળી છે, પરંતુ વળતર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાન નંદલાલ કૈલાએ આ માહિતી આપી હતી. આજે નાનાભેલા, મોટાભેલા, નાના દહીસરા, મોટા દહીસરા, ભાવપર અને બોડકી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ભાજપના આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન રિલાયન્સની વીજ લાઇનના પોલ ઊભા કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. નાનાભેલા ગામના સરપંચ ભાવિકભાઈ કાવરે જણાવ્યું હતું કે, ખાનગી કંપની વીજ ઉત્પાદન કરીને કમાણી કરવાની છે, ત્યારે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ વિકાસના કામનો વિરોધ કરતા નથી, પરંતુ તેમની ખેતીની જમીન ઓછી થાય છે, બજાર કિંમતમાં ઘટાડો થાય છે, ફળદ્રુપતા ઘટે છે અને વીજ કરંટ લાગવાનો ભય રહે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વળતર આપવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 2:01 pm

ભાવનગર એરપોર્ટ સજ્જ:બોઇંગ-737 ઉતારવાની મળી મંજૂરી મળતા ફ્લાઇટ્સ શરૂ થવાના સંકેત

ભાવનગર એરપોર્ટ 'સુમસામ', વિકાસની વાતો વચ્ચે કનેક્ટિવિટી છીનવાતા કોંગ્રેસ આક્રમક, આંદોલનની ચીમકી ભાવનગરવાસીઓ માટે હવાઈ સેવાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ભાવનગર એરપોર્ટ પર લાંબા સમયથી ખોરવાયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવાની આશા જાગી છે, જે જાન્યુઆરીથી ઇન્ડિગો અને માર્ચથી મુંબઈની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે, તેમજ એરપોર્ટને હવે મોટા વિમાનો ઉતારવાનું લાયસન્સ પણ મળી ગયું છે જોકે, ફ્લાઇટ્સ શરૂ થવામાં થતા વિલંબને લઈ ચેમ્બર ઓફ કોમર્સમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસે સરકાર પર નિષ્ક્રિયતાનો આક્ષેપ કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, ભાવનગર-મુંબઈ ફ્લાઇટ ફરી શરૂ થવાની પ્રબળ શક્યતા એરપોર્ટ ડિરેક્ટર તપન નાયકે ભાવનગર એરપોર્ટની આગામી ફ્લાઇટ શિડ્યુલ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, લાંબા સમયથી સ્થગિત થયેલી શિડ્યુલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની પ્રક્રિયા ગતિમાં છે ટેકનિકલ કારણો કે પાયલટ્સની અછતને લીધે અટકેલી ઈન્ડિગોની સેવાઓ જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની સંભાવના છે આગામી 29 માર્ચથી શરૂ થતા સમર શિડ્યુલમાં ભાવનગર-મુંબઈ ફ્લાઇટ ફરી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. મોટા વિમાનો માટે એરપોર્ટ સજ્જ ​ભાવનગર એરપોર્ટ હવે માત્ર નાના જ નહીં પણ મોટા કોમર્શિયલ વિમાનો ઉતારવા માટે પણ સક્ષમ છે ​અમને DGCA દ્વારા બોઇંગ 737 અને એરબસ 320 જેવા મોટા વિમાનો ઉતારવા માટેનું લાયસન્સ મળી ગયું છે, ​હાલમાં શિડ્યુલ ફ્લાઇટ્સ ભલે મર્યાદિત હોય, પરંતુ વેન્ચુરા એર સર્વિસ દ્વારા ભાવનગર-સુરત વચ્ચે દરરોજ ફ્લાઇટ ચાલી રહી છે આ ઉપરાંત અઠવાડિયામાં સરેરાશ 10 જેટલી નોન-શિડ્યુલ ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોથી અવરજવર કરી રહી છે, જૂન મહિના માં ફ્લાઈટ બંધ થઈ આ અંગે ચેમ્બર પ્રમુખ પ્રકાશ ગોરસીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે દિલ્હી રૂબરૂ પણ કરી છે અને અલગ અલગ વિભાગમાં પણ કરી છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને પણ રજુઆત કરી છે, ઉડયન મંત્રી ને પણ રજૂઆત કરી છે, જૂન મહિના માં ફ્લાઈટ બંધ થઈ ત્યારે થી જ રજુઆત કરી છે, અનેક પ્રશ્નો હતા જેમાં નવા એરપોર્ટ શરૂ થવાનું હતું, સ્લોટનો પ્રશ્નો હતો, ફ્લાઈટ ની કેન્સલો થવાના પ્રશ્નો સહિત ના કારણે આ લંબાતું જાય છે. ભાવનગર સાથે ઓરમાયું વર્તન' શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલેએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિકાસની વાતો વચ્ચે ભાવનગરનું એરપોર્ટ 'સુમસામ' ભાસી રહ્યું છે, રાજકોટ જેવા શહેરોમાં નવી ફ્લાઇટ્સ અપાય છે, જ્યારે ભાવનગરની મુંબઈ-પુણે જેવી જૂની કનેક્ટિવિટી પણ છીનવી લેવાઈ છે. ભાવનગરના વતની એવા કેન્દ્રીય મંત્રી અન્ય શહેરો માટે સક્રિય છે પણ પોતાના માતૃ વતન માટે તેમની મહેનત 'ઝીરો' છે, કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે ​ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક વેપારને આર્થિક ફટકો પડી રહ્યો છે, મનોહરસિંહ ગોહિલે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં એર કનેક્ટિવિટી તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ જનતા અને ઉદ્યોગપતિઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:54 pm

પંચમહાલમાં પાક નુકસાન સહાયથી 18,000 ખેડૂતો વંચિત:કિસાન સંઘ 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે

પંચમહાલ જિલ્લામાં પાક નુકસાન સહાયથી 18,000 ખેડૂતો વંચિત રહેતા ભારતીય કિસાન સંઘે આંદોલનની જાહેરાત કરી છે. આગામી 12 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર-17 ખાતે વિધાનસભા સામે ખેડૂતો વિશાળ શક્તિ પ્રદર્શન કરશે. સંઘના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઓક્ટોબર-2025માં થયેલા કમોસમી વરસાદ બાદ જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં અન્યાય થયો છે. જિલ્લામાં અંદાજે 60, 000 અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. જોકે, જિલ્લા ખેતીવાડી અધિકારીની કથિત મનસ્વી કામગીરીને કારણે માત્ર 42, 000 અરજીઓ જ માન્ય રખાઈ છે. આના પરિણામે 18,000 જેટલા સાચા ખેડૂતો તેમના હક્કની સહાયથી વંચિત રહી ગયા છે. આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, કિસાન સંઘની અન્ય 23 જેટલી પડતર માંગણીઓ પણ છે. જેમાં ખાનગી કૃષિ કોલેજોને મંજૂરી આપતા પરિપત્ર રદ કરવા, વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી, ટોલટેક્સમાં 20 કિમી સુધી સ્થાનિકોને રાહત આપવી અને વીજ ટાવર માટે જમીનનું યોગ્ય વળતર આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દે સરકાર સામે મોરચો માંડવામાં આવશે. કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ અને મહામંત્રી સુરેન્દ્રસિંહ રાઉલજીની આગેવાનીમાં જિલ્લાભરમાંથી હજારો ખેડૂતો આ રેલીમાં જોડાઈને સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:48 pm

ચોટીલા હાઈવે પર સરકારી જમીન પર બુલડોઝર ફેરવાયું:અમરદીપ હોટલ સહિત આસપાસનું કરોડોનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન પર થયેલા દબાણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આજે આકરા પગલાં ભરતા રૂ. 16 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. મઘરીખડા ગામના સરકારી સર્વે નંબર 86/1માં આશરે 10 એકર જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને 'અમરદીપ હોટલ' ચલાવવામાં આવતી હતી. હોટલ માલિક છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર (રહે. નાના કાંધાસર) દ્વારા આ સરકારી જમીનનો વાણિજ્યિક ઉપયોગ કરાતો હતો. તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં અમરદીપ હોટલનું મુખ્ય પાકું બાંધકામ (આશરે 1100 ચો.મીટર), હાઈવેને અડીને આવેલી પંચરની દુકાન, ટોઇલેટ અને બાથરૂમ બ્લોક, તેમજ પાણીના ટાંકા અને અન્ય ઓરડીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી દ્વારા અંદાજે રૂ. 16,37,61,000 (સોળ કરોડ સાડત્રીસ લાખ એકસઠ હજાર)ની કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવી તેને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણ ઘણા સમયથી હોવાનું ધ્યાને આવતા, નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આટલા વર્ષો દરમિયાન થયેલા ગેરકાયદેસર વપરાશ બદલ વાર્ષિક બિનખેતીના જંત્રીના 1 ટકા લેખે વસૂલાત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકમાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:25 pm

રાજાશાહી સમયનો પુલ બિસ્માર:રાજકોટ મનપા તંત્રની ઘોર બેદરકારીથી હજારો લોકો પરેશાન, મનપા નહીં કરે તો સ્વખર્ચે રીપેર કરવા કોંગી અગ્રણીઓની ચીમકી

રાજકોટમાં સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાઓના ધાંધિયા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી પર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલો ઐતિહાસિક બેઠો પુલ આજે તંત્રની ઉદાસીનતાને કારણે બિસ્માર બાજયો છે. આ પુલ લાંબા સમયથી બંધ હોવાને કારણે હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ગંભીર મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના આગેવાનો રણજીત મૂંધવા અને હરેશ ભરાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પુલનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે, તો તેઓ લોકહિતમાં સ્વખર્ચે આ પુલનું સમારકામ કરાવશે. ઐતિહાસિક ધરોહરની દુર્દશા અને તંત્રની નિષ્ફળતા રાજકોટની શાન ગણાતી આજી નદી પર ખત્રીવાડથી બેડીપરા તરફ જવા માટે વર્ષો પહેલા રાજાશાહી શાસન દરમિયાન આ બેઠા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલ માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતી એક મહત્વની કડી છે. ખાસ કરીને બેડીપરા, રામનાથપરા અને આસપાસના ગીચ વિસ્તારોમાં રહેતા હજારો લોકો માટે આ પુલ જીવાદોરી સમાન છે. જોકે, છેલ્લા ઘણા સમયથી રાજકોટ મનપા દ્વારા આ ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. ગંદકી અને રોગચાળાનું કેન્દ્ર બન્યો પુલ આ પુલ બંધ થતાની સાથે જ તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા પણ હટાવી લેવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીનો લાભ લઈ સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા આ પુલ પર અને નદીના પટમાં મોટા પાયે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આજે આ પુલ જાણે 'કચરાનું ઘર' બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના ગંજ ખડકાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઇ છે. સ્થાનિકોની માંગ છે કે આ પુલને માત્ર રીપેર જ નહીં, પરંતુ તેને ઊંચો કરી રેલિંગ સાથે નવો બનાવવામાં આવે જેથી ચોમાસામાં પણ તે કાર્યરત રહી શકે. વિરોધ પક્ષના પ્રહારો અને 'જશ' ખાટવાની રાજનીતિ આ મુદ્દે કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવાએ આક્ષેપ કર્યો છે કે, વોર્ડ નંબર 6 અને 7 ને જોડતો આ પુલ લોકો માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ શાસક પક્ષના નેતાઓની 'પ્રસિદ્ધિ ભૂખ' ને કારણે જનતા પીસાઈ રહી છે. અગાઉ જ્યારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટરોએ ઉતાવળે માત્ર કોંક્રિટ પથરાવીને પુલ ચાલુ કરી દીધો હતો. આ કામચલાઉ સમારકામ માંડ 2 મહિના પણ ચાલ્યું નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ આ પુલના રીપેરીંગ પાછળ જનતાના ટેક્સના 15 લાખ રૂ.થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીને કારણે પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. જો તે સમયે યોગ્ય આયોજન સાથે 300 ના બદલે 900સેમી સાઈઝનાં પાઇપ નાખવામાં આવ્યા હોત, તો કદાચ આજે આ સ્થિતિ સર્જાત નહીં. હવે આગેવાનોની માંગ છે કે અહીં 1500સેમીનાં મોટા પાઇપ નાખીને મજબૂત કોઝવે બનાવવો જોઈએ. વેપારીઓ અને વિદ્યાર્થીઓની હાલાકી રાજકોટ જ્યારે 'વાઈબ્રન્ટ સમિટ' જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું યજમાન બની રહ્યું હોય, ત્યારે શહેરની અંદરનો આવો ભાંગેલો-તૂટેલો વિકાસ તંત્રની પોલ ખોલે છે. સોની બજાર, બંગડી બજાર અને ધર્મેન્દ્ર રોડ જેવા મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં જવા માટે ઈમિટેશન બજારના વેપારીઓને આ પુલ બંધ હોવાથી 2 કિમી જેટલો લાંબો ફેરો ખાવો પડે છે. આ ઉપરાંત, સામા કાંઠેથી શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસની અંતિમ ચેતવણી કોંગ્રેસના આગેવાન રણજીત મૂંધવાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો મનપાના સત્તાધીશો અને જાડી ચામડીના અધિકારીઓ આ તૂટેલા પુલને નહીં જુએ અને તાત્કાલિક નવીનીકરણની પ્રક્રિયા હાથ નહીં ધરે, તો તેઓ જનતાના સહયોગથી સ્વખર્ચે રીપેરીંગ કામ શરૂ કરી દેશે. હાલમાં તો આ ઐતિહાસિક પુલ તંત્રના 'સ્માર્ટ' દાવાઓ વચ્ચે રઝળી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી સમયે કોંગ્રેસની આ ચેતવણી બાદ તંત્ર કુંભકર્ણ નિદ્રામાંથી જાગે છે કે કેમ તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 1:17 pm

ઉ.ગુ. પાંચગામ લેઉવા પાટીદાર મંડળનો સ્નેહ મિલન સંપન્ન:અમદાવાદમાં બાળકોના કાર્યક્રમોથી સમાજ પ્રભાવિત

અમદાવાદમાં ઉત્તર ગુજરાત પાંચગામ લેઉવા પાટીદાર મંડળનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં વસવાટ કરતા સંડેર, મણુંદ, ભાન્ડુ, વાલમ અને બાલીસણા ગામના લેઉવા પાટીદાર સમાજના સભ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્નેહ મિલન માટે એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન જુનિયર કેજી અને સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ ધોરણ ૧ થી ૯ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા અને વિવિધ રમતગમત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા ફેબ્રુઆરીમાં યોજાનાર શિબિર અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. હિતેશ પટેલ (MDDGO), પાર્થ ભરતભાઈ અમીન, પ્રિયેન પટેલ, દુર્ગેશ પટેલ અને જીંદલ મહેન્દ્રભાઇ પટેલને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યો માટે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંડળના કારોબારી સભ્યો, પદાધિકારીઓ અને પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજના સભ્યોની મોટી ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:56 pm

જામનગરમાં ઘાસચારો વેચનારાઓએ મનપા કર્મચારી પર હુમલો કર્યો:રણજીતસાગર રોડ પર પાવડો લઈને દોડ્યા, પોલીસ ફરિયાદની તજવીજ

જામનગરમાં મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલાનો પ્રયાસ થયો છે. રણજીતસાગર રોડ પર ઘાસચારો વેચનારા બે શખ્સોએ ફરજ પરના કર્મચારીને પાવડો લઈને મારવા દોટ મૂકી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસી અંતર્ગત ઘાસચારો વેચનારાઓ સામે જપ્તીકરણની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આજે સવારે રણજીતસાગર રોડ પર આવેલા મારુ કંસારા હોલ પાસે મનપાની ટીમ પહોંચી હતી. મહાનગરપાલિકાના એસ.એસ.આઈ. દીપકભાઈ પરમાર ઘાસચારો જાહેરમાં વેચનારાઓ સામે જપ્તીકરણની કાર્યવાહી કરવા ગયા હતા. તે દરમિયાન બે ઘાસ વિક્રેતાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પાવડો લઈને દીપકભાઈ પરમારની પાછળ દોડ્યા હતા, જેના કારણે નાસભાગ થઈ હતી. આ હંગામાને કારણે રણજીતસાગર રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્રને ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલાના પ્રયાસ અને અપશબ્દોના મામલે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને ઝોનલ ઓફિસર ઉર્વશીબેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસ.એસ.આઈ. દીપકભાઈ પરમાર દ્વારા પોતાના પર હુમલાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:54 pm

ભાવનગર-સોમનાથ હાઈવે પર સિંહણનું મોત:હેમાળ ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજ્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક સિંહણનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે વાહનની ટક્કરથી સિંહણને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરએફઓ, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. વનવિભાગે અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કવાયત હાથ ધરી છે અને હાઈવે પરના તેમજ હોટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહબાળ સહિત અનેક વન્યપ્રાણીઓના અકસ્માતમાં મોત થયા છે. ટીંબી, છેલણા, હેમાળ, દુધાળા, નાગેશ્રી, કાગવદર, ચારનાળા, હિંડોરણા અને કડિયાળી જેવા હાઈવે નજીકના ગામડાઓમાંથી સિંહોના રોડ ક્રોસ કરવાના બનાવો રોજિંદા બનતા રહે છે, જેના કારણે સિંહોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. સિંહપ્રેમી વિપુલભાઈ લહેરીએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વનવિભાગે અકસ્માત કરનાર વાહનચાલકને ઝડપથી શોધીને કાર્યવાહી કરવી જોઈએ. તેમણે નેશનલ હાઈવે પર વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને વનવિભાગ સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવે અને પેટ્રોલિંગ વધારે તેવી માંગણી પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:23 pm

ગાંધીજીના કોચરબ આશ્રમમાં કજરા રે...કજરા રે...:વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન યોજ્યા, ડીજેના તાલે મહેમાનો નાચ્યાં અને જમણવાર પણ કર્યો

મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્નનું પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો આયોજનનો વીડિયો વાઇરલ થયો છે. આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં કજરા રે...કજરા રે...સહિતના સોંગ્સ પર મહેમાનો ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. માત્ર એટલું જ નહીં ત્યાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હતા. ગઈકાલે સંગીત સંધ્યા અને આજે લગ્નનું આયોજન કરાયું છે. અત્યારે પણ કોચરબ આશ્રમમાં પ્રસંગ ચાલી રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરી ગાંધીજીની વિચારધારાનો છેદ ઉડ્યો હોવાનો જણાવી રહી છે. વીડિયો વાઇરલ થતા કોની મંજૂરીથી આયોજન થયું તેને લઈને સત્તાધિશો સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે સૌથી પહેલા કોચરબ ખાતેના આશ્રમમાં રહ્યા હતા. જે બાદ કોચરબ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાયો. તમામ પ્રકારના મોટા આયોજનો કોચરબ આશ્રમથી થયા હતા. ત્યારબાદ ગાંધીજી સાબરમતી આશ્રમ આવ્યા હતાં. કોચરબ આશ્રમ ગાંધીજી અને સત્યાગ્રહ ની ઐતિહાસિક ધરોહર છે. ગાંધીજીની વિરાસતને નુકશાન પહોંચાડવાનું કામ સત્તાધીશોએ કર્યું છે. વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીજીની વિરાસતને નુકસના થાય તેવું કામ વખોડવા લાયક છે. સત્તાધીશોએ જે કૃત્ય કર્યું છે, એ માફીને લાયક નથી. ઐતિહાસિક ધરોહરનું માન સન્માન જણવાય તે ખૂબ જરૂરી છે. ગાંધીજીની વિરાસતને નુકશાન થાય તેવું સુનિયોજિત આયોજન થઈ રહ્યું છે.આ નુકશાન ભાજપના સત્તાધિશો અને દેશના સત્તાધીશો કરી રહ્યા છે. કોચરબઆશ્રમ ભારતની આઝીદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરેલો પ્રથમ આશ્રમ હતો. 25 મે, 1915ના રોજ તેની સ્થાપના કરાઈ હતી. દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, તેમના દ્વારા શરૂ કરેલ પ્રથમ આશ્રમ હતો. વિદ્યાર્થીઓ-નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્વાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર કરાયું હતું. સત્યાગ્રહ આશ્રમ કેમ કહેવાયો? ગાંધીજી એવું માનતા હતા કે, વ્યક્તિગત ગુણવિકાસ અને સામાજિક પરિવર્તન સાધવા માટે સત્યાગ્રહ આવશ્કય છે. આથી તેમણે આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો. એમના મનમાં આશ્રમ સત્યાગ્રહનું તાલીમકેન્દ્ર બને એવી પણ કલ્પના હતી. એમણે લખ્યું છે કે, ''મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી, છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું... મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે.'' અહીં જ ગાંધીજીએ પહેલો ઉપવાસ અને ચંપારણનો સત્યાગ્રહ કર્યોમહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ કોચરબ ખાતેથી સ્વરાજ માટેની લડતના મંડાણ કર્યા હતાં. આ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાના રાખ્યા હતાં. એ દરમિયાન આશ્રમમાં રહેતાં છોકરાઓમાંથી એક છોકરો કોઈ બાબતે ખોટું બોલ્યો હતો એના કારણે ગાંધીજીએ ઉપવાસ કર્યો હતો. જોકે, પાછળથી ખોટું બોલ્યો હોવાનું તેને કબૂલ્યું હતું અને પછી સાંજે ગાંધીજીએ સાંજે ભોજન લીધું હતું. આ પછી ગાંધીજીએ ચંપારણનો સત્યાગ્રહ પણ અહીંથી જ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠ આશ્રમનું સંચાલન કરે છેવર્ષ 1950 સુધી કોચરબ આશ્રમ તેની મૂળ સ્થિતિમાં જ હતો. ભારતમાં ગાંધીજીએ સ્થાપેલાં પ્રથમ આશ્રમ તરીકે જાળવી રાખી સ્મારક રૂપે વિકસાવવા તે વખતની મુંબઈ સરકારે તેને સ્મારકનો દરજ્જો આપી કાયમી ધોરણે જાળવી રાખવાનું જાહેર કર્યું. આ પછી સત્યાગ્રહ સ્મારક તરીકે 04 ઓક્ટોબર, 1953ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1953થી કોચરબ આશ્રમનું સંચાલન ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:21 pm

નેશનલ હાઈવે પરથી 73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:નવસારી LCBએ 83.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકને પકડ્યો

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે LCB પોલીસે કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર બોરીયાચ ટોલ નાકા પાસેથી પોલીસે રૂ. 73.45 લાખની કિંમતની વિદેશી દારૂની 14,712 બોટલો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. નવસારી LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હાઈવે પર પેટ્રોલિંગ અને વોચમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સેલવાસથી દારૂ ભરીને એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે બોરીયાચ ટોલ નાકા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ટ્રક (GJ 25 U 2581) ને રોકવામાં આવી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને રમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં 14,712 નંગ દારૂ અને રમની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 73,45,200 અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 10,00,000ની કિંમતની ટાટા મોટર્સ ટ્રક અને રૂ. 15,000ની કિંમતના 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, પોલીસે કુલ રૂ. 83,60,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક લખમણ વેજાભાઇ ખુંટી (રહે. ખાપટ, પોરબંદર)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો પોરબંદરના મેરૂ ઉર્ફે રામદેવ ઓઘડભાઇ ખુંટીએ ભરાવ્યો હતો અને તે પોતે ફોર વ્હીલ ગાડીમાં પાયલોટીંગ કરી રહ્યો હતો. આ કેસમાં મેરૂ ઉર્ફે રામદેવ ઓઘડભાઇ ખુંટી (ટ્રક માલિક અને મુખ્ય સૂત્રધાર), સેલવાસનો એક અજાણ્યો શખ્સ (દારૂનો જથ્થો ભરી આપનાર) અને જૂનાગઢનો એક અજાણ્યો શખ્સ (દારૂ મંગાવનાર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 12:08 pm

મહીસાગરમાં ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને લાઇટ ચાલુ રાખવી પડી, ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડા પવનો ફૂંકાવાને કારણે શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. સંતરામપુર અને લુણાવાડા સહિતના અનેક તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહી હતી. વહેલી સવારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વિચક્રી વાહનચાલકો, એસટી બસો અને ખાનગી વાહનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા. ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર હેડલાઇટ ચાલુ રાખીને કરવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માતની શક્યતાઓ અંગે ચિંતા જોવા મળી હતી. જિલ્લામાં ઠંડા પવનના ઝોકા પણ અનુભવાયા હતા, જેનાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. સવારના સમયે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, સ્વેટર, જેકેટ અને મફલર પહેરીને બહાર નીકળ્યા હતા. ચા-કોફી અને ગરમ પીણાંની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. શિયાળાની આ તીવ્ર ઠંડીની દૈનિક જીવન પર અસર પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારમાં કામ પર જનારા લોકો, વિદ્યાર્થીઓ અને ખેતી કામ સાથે જોડાયેલા ખેડૂતોએ ઠંડીનો વધુ અનુભવ કર્યો હતો. ઠંડા પવનો અને ધુમ્મસને કારણે સવારના કલાકોમાં સામાન્ય જનજીવન થોડું ધીમું પડ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ જિલ્લામાં ઠંડીની અસર યથાવત રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:56 am

PM ના એક પેડ માં કે નામનો છેદ ઉડ્યો:રાજકોટની કોટડાસાંગાણીની સરકારી કોલેજના આચાર્યે 12 વર્ષ જૂના 27 વૃક્ષો કપાવ્યા, સસ્પેન્ડ કરવા પર્યાવરણ પ્રેમીની માંગ

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ એક પેડ માં કે નામનો નારો લગાવી રહ્યા છે ત્યારે રાજકોટની કોટડાસાંગાણી સરકારી વિનયન કોલેજના આચાર્ય દ્વારા 12 વર્ષ જૂના 27 વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીએ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી આચાર્યને સસ્પેન્ડ કરી વન સંરક્ષણ ધારા મૂજબ દંડ અને સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના કમિશનર ઓફ હાયર એજ્યુકેશનને રાજકોટના પર્યાવરણપ્રેમી જતીન જાનીએ રજૂઆત કરતા જણાવ્યું છે કે,એક ચિંતિત નાગરિક તરીકે રાજ્યની એક સરકારી કોલેજમાં થયેલી ગંભીર પર્યાવરણવિરોધી તથા ગુનાહિત ઘટનાની આપને જાણ કરવા તથા તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની દ્રઢ માંગ સાથે આ ફરિયાદ રજૂ કરું છું. તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટના કોટડાસાંગાણીની સરકારી ઠાકોર મૂળવાજી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અલ્પેશ જોશી દ્વારા કોલેજ પરિસરમાં આવેલા આશરે 12 વર્ષ જૂના 27 પૂર્ણ વિકસિત સપ્તપર્ણી (Alstonia scholaris) વૃક્ષો કોઈપણ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી કે અન્ય સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વિના તેમજ કોઈ તાત્કાલિક, સલામતી સંબંધિત કે પ્રશાસનિક કારણ વિના કપાવવામાં આવ્યા છે. આ કૃત્ય માત્ર પ્રશાસનિક બેદરકારી નહીં પરંતુ જાહેર સંપત્તિ તથા પર્યાવરણને થયેલું ગંભીર ગુનાહિત નુકસાન છે. જે બાદ પર્યાવરણપ્રેમીઓ દ્વારા વિરોધ થતાં આચાર્ય દ્વારા માત્ર એક ઔપચારિક માફી લખવામાં આવી (માફી પત્ર બીડેલ છે જેમાં 20 વૃક્ષો કાપ્યાની માફી છે જે ખોટું છે. હકીકતમાં 27 વૃક્ષો કપાયા છે) અને ઘટનાની છુપાવવા તાત્કાલિક નવા વૃક્ષો વાવવામાં આવ્યા. જે બાદ સત્તાના જોરે સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે. તેઓ રજૂઆતમાં વધુમાં જણાવે છે કે, અલ્પેશ જોશીની પહોચ ખૂબ ઉપર સુધી છે અને એના પર રાજકોટના એક કુખ્યાત ધર્મગુરૂનો હાથ છે. જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવતા ડરે છે. તપાસમાં હાલ નોકરી કરતા અધ્યાપકોને પૂછતાછ કરશો તો એ અલ્પેશ જોષીના ડરને કારણે સાચું નહીં બોલે પરંતુ ત્યાંથી બદલી થયેલા અધ્યાપકોને પૂછવાથી કદાચ સાચું બહાર આવે. તેમણે જણાવ્યું કે, એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક પેડ માં કે નામનો નારો આપે છે અને બીજી બાજુ સરકારી કોલેજના આચાર્ય 12 વર્ષ જૂના 27 વૃક્ષોનો નાશ કરે છે. જેથી ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ગુનાહિત કૃત્ય બદલ કલમ 379 (ચોરી) – જાહેર સંપત્તિ સમાન વૃક્ષોની ગેરકાયદેસર કાપણી, કલમ 425 તથા 427 (મિશ્રીફ) – જાહેર અને પર્યાવરણને નુકસાન, કલમ 441 તથા 447 (ક્રિમિનલ ટ્રેસપાસ) – અધિકારની સીમા બહાર જઈ કરાયેલ કાર્યવાહી, કલમ 409 (જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ) – સત્તાનો દુરુપયોગ, કલમ 166 (કાયદાનું ઉલ્લંઘન કરતો જાહેર સેવક)આ પ્રકારની કાપણી અપરાધ છે. જેને માત્ર માફી અથવા આંતરિક સમાધાન દ્વારા બંધ કરી શકાય નહીં. અંતમાં પર્યાવરણ પ્રેમીએ દ્રઢ અને સ્પષ્ટ માંગ કરી હતી કે, પ્રિન્સિપાલ વિરુદ્ધ IPC હેઠળ કોજદારી કેસ નોંધવામાં આવે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, વન વિભાગ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે (બીજી કોલેજના આચાર્ય દ્વારા નહી), પર્યાવરણ વળતર (Environmental Compensation) વસૂલવામાં આવે અને કાયદા મુજબ કારાવાસ તથા દંડ સહિતની કડક સજા ફટકારવામાં આવે. તેઓ જણાવે છે કે, કપાયેલા વૃક્ષોનો વિડિયો પણ મારી પાસે ઉપલબ્ધ છે. જો આવા કિસ્સાઓમાં નરમ વલણ અપનાવવામાં આવશે તો તે સંદેશ આપશે કે શૈક્ષણિક અને પ્રશાસનિક સત્તા ધરાવનાર વ્યક્તિઓ પર્યાવરણ કાયદા કરતાં ઉપર છે. જે કાયદા પાલન માટે અત્યંત ખતરનાક છે. શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ મૂલ્યો, નૈતિકતા અને જાહેર સંસાધનોનું સંરક્ષણ કરવાનો છે – તેમનો વિનાશ કરવાનો નહીં. પર્યાવરણ પ્રેમીએ પોતાની રજૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી, મુખ્ય વન સંરક્ષક તેમજ શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને મોકલી આપી છે. આ અંગે કોલેજના આચાર્ય ડૉ.અલ્પેશ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, તમે રૂબરૂ આવો પછી આ અંગે વાત કરી. જોકે તેમણે વૃક્ષોના નિકંદન અંગે ફોન પર કારણ આપવાનું ટાળ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:49 am

'હું આસજોલનો ચૌહાણ છું' કહેતા ઠાકોર યુવકને ધોકા વડે મારમાર્યો:'મરતોલી ગામે આવતો નહિં'ની ધમકી આપી, 4 શખ્સો સામે સાંથલ પોલીસમાં ગુનો નોંધાયો

મરતોલી ગામે પૂનમ ભરવા આવેલ યુવક સાથે કેટલાક શખ્સોએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. જેમાં યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોર 4 શખ્સો વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. યુવક મરતોલી ગામે દર્શન કરવા આવ્યો હતોબેચરાજીના આસજોલ ગામે રહેતા જયદીપ ફતેહસંગ ઠાકોરની ફરિયાદ મુજબ તેઓ પૂનમના દિવસે પોતાના મિત્રો સાથે મરતોલી ગામે દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કરી ગામના એક પાર્લર પર તેઓ ઉભા હતા. ત્યાં બેચરાજીના રૂપપુરાના સંદીપ ટીનુભા ઝાલા નામનો શખ્સ અન્ય ૩ અજાણ્યા શખ્સો સાથે તેની પાસે આવ્યો હતો. જેને યુવકને પૂછ્યું કે, તું ક્યાં ગામનો છે અને કેવો છે તેમ પૂછતાં યુવકે પોતે આસજોલ ગામનો ચૌહાણ હોવાનું કહેતા સામેના શખ્સોએ તેની ફેટ પકડી ડરાવી દીધો હતો. 4 શખ્સોએ યુવકને ધોકા અને કડુથી મારમાર્યોજેથી યુવક ભયભીત થઈ ત્યાંથી જતો રહ્યો હતો. જોકે તે આસજોલ જુના નેડિયા બાજુ જતો હતો. ત્યારે ફરી એકવાર તેની પાછળ સંદીપ ઝાલા 3 અજાણ્યા શખ્સો સાથે આવી તેને માર મારવા ફરી વળ્યો હતો. કુલ 4 શખસોએ તેને ધોકા અને કડુથી મારા મારી ફરી અહીં આવતો નહિ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે બનાવમાં ઈજાગ્રસ્ત યુવકે સારવાર લઈ સાંથલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ આદરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:44 am

રાપરના ખીરઈ નજીક પાબુદાદા મંદિરમાં તોડફોડ:અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓ ખંડિત કરાતા પોલીસ તપાસ શરૂ

રાપર તાલુકાના ખીરઈ ગામ નજીક આવેલા પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોએ મંદિરમાં પાબુદાદાની અનેક મૂર્તિઓને ખંડિત કરી હતી. આ કૃત્ય પાછળ કોમી એકતા તોડવાનો ઇરાદો હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના આગેવાનો, ધર્મપ્રેમીઓ અને રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. બુબડીયા તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા, ગૌ સેવક જગુભા જાડેજા અને લાલુભા જાડેજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ જે.બી. બુબડીયાએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે રોષ અને ઉશ્કેરાટ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:35 am

હરખજીના મુવાડા ગામ પાસેથી પીકઅપ ડાલામાંથી 15 લાખનો દારૂ ઝડપાયો:દહેગામ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને અલીગઢના બુટલેગરને દબોચ્યો

દહેગામ પોલીસ સ્ટેશનની ટીમે મધરાતે હાઈવે પર એક ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને પીકઅપ ડાલાના ચાલકે વાહન ભગાવ્યું હતું, જેનો પોલીસે પીછો કરી મહાવીર ફાર્મ પાસે બુટલેગરને ઝડપી પાડતા તેની પાસેથી 15 લાખની કિંમતનો હરિયાણાનો દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોધી દારૂ સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામથી કપડવંજ જતા દારૂનું પીકઅપ ડાલું ઝડપાયું દહેગામ પોલીસે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ પસાર થતી પીકઅપ ગાડીને ઝડપી પાડી છે. પોલીસને જોઈને બુટલેગરે વાહન ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતરી લીધો હતો. દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એન. દેસાઈને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બંધ બોડીની મારુતિ સુપર કેરી પીકઅપ (નંબર GJ-18.BV.3347) વિદેશી દારૂ ભરીને દહેગામથી કપડવંજ રોડ તરફ જવાની છે. હરખજીના મુવાડા ગામ પાસેના ફાર્મ પાસેથી પકડ્યોઆ બાતમીના આધારે પોલીસની અલગ-અલગ ટીમોએ હરસોલી ચોકડી વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને ઉભા રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ઉભું રાખવાને બદલે હાઈવે પર પૂરઝડપે હંકારી મૂક્યું હતું. આથી પોલીસે ખાનગી વાહનોમાં તેનો પીછો કર્યો અને હરખજીના મુવાડા ગામ પાસે મહાવીર ફાર્મ સામે આડશ ઉભી કરી ગાડીને રોકી દીધી હતી. અલીગઢનો બુટલેગર ઝડપાયોજોકે ગાડી ઉભી રહેતા જ ચાલકે ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરી તેને પકડી પાડ્યો હતો. જેને ભાગવા જતાં જમણા પગે સામાન્ય ઈજા પણ પહોંચી હતી. બાદમાં પકડાયેલા શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ દિગંબર સિંહ ઉર્ફે ભુરો જહાનસિંહ જાટ (રહે. અલીગઢ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. 3744 નંગ નાની મોટી દારૂની બોટલો જપ્ત કરીત્યારે રાત્રિનો સમય અને હાઈવે પર ટ્રાફિક હોવાથી પોલીસ ગાડીને દહેગામ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ગણતરી કરતા 15 લાખની કિંમતની કુલ 3 હજાર 744 નંગ નાની મોટી દારૂની બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે દારૂનો જથ્થો સહિત કુલ રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:34 am

હિંમતનગરમાં વન ચેતના કેન્દ્ર પાસે દીપડો દેખાયો:છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ સ્થળે દેખાતા વન વિભાગ સક્રિય

હિંમતનગરના ધાંણધા વિસ્તારમાં આવેલા વન ચેતના કેન્દ્ર આસપાસ દીપડો દેખાયો છે. છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગને જાણ થતાં દીપડાને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરથી ઇડર સ્ટેટ હાઇવે પર આવેલા ધાંણધામાં વન ચેતના કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ સ્થળોએ દીપડો દેખાઈ રહ્યો છે. ગત સાંજે મોન્ટેઝ લેબોરેટરી પાછળના ભાગે દીપડો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો છે. દીપડાના સતત દેખાવાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગે આ અંગે ગંભીરતા દાખવી દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:31 am

CMને ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા ખેડૂતને સળગાવી દીધો:આંકલાવના અંબાવ ગામના સરપંચના પુત્ર સહિત પાંચ લોકો સામે આક્ષેપ

સયાજી હોસ્પિટલમાં દાખલ ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો, એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે 'તમને જીવતા નહીં છોડીએ', તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા. તેમણે મને ગડદાપાટુનો માર માર્યો. માર મારતા મારતા તેઓ મને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને મને પકડી રાખ્યો, નિલેશભાઈએ મારા પર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી. દિનેશભાઈએ મને લાત મારીને પાડી દીધો અને પછી મને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. શું છે સમગ્ર ઘટના?આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ તેમજ તેમના પરિવારે મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારા શખસને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ખેડૂતને વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારા માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. આંકલાવ તાલુકાના અંબાવના અમરાદેવ મંદિર પાછળ 51 વર્ષીય ભરતભાઈ ફૂલસિંહ પઢીયાર રહે છે. તેઓએ અગાઉ ગામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગેની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશ્નર અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ બાબતને લઈને તેમને ગામના મહિલા સરપંચ કોકિલા દિનેશ પઢીયાર સાથે ચડભડ ચાલતી હતી. આ દરમિયાન, ગત 4 જાન્યુઆરીના રોજ તેમના ઘરે ભજનનો કાર્યક્રમ હોય તેઓ ગામના એક વિસ્તારમાં કેટલીક બહેનોને જમવાના વાસણ ધોવાના હોય તે કહેવા માટે ગયા હતા. એ સમયે કાર લઈને મહિલા સરપંચ કોકિલા, ઉપરાંત તેમનો પતિ દિનેશ ચંદુ પઢીયાર, પુત્ર નિલેશ દિનેશ પઢીયાર, રાજેશ ઉર્ફે પોપટ દિનેશ પઢીયાર અને સરપંચનો ભત્રીજો અને અશોકભાઈનો ભત્રીજો સ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે કારમાં ઉતર્યા બાદ ગમે તેમ અપશબ્દ બોલી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી અને અમારા વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કેમ કરે છે તેમ કહીને બોલાચાલી કરી હતી. જોકે, એ સમયે ભરતભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે એમાં શું નવાઈની વાત છે? તેમ કહેતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા પાંચેય જણાં ભેગા થઈને તેની સાથે ઝપાઝપી કરી મારામારી કરવા લાગ્યા હતા. એ પછી સરપંચનો મોટો દીકરો નિલેશ ગાડીમાંથી ગેલેન ભરેલું પેટ્રોલ કાઢી લાવ્યો હતો અને શખસ પર છાંટટ્યું હતું અને દીવાસળીની કાંડી ચાંપી હતી. જેને પગલે શખસ સળગવા લાગ્યો હતો. જોકે, એ સમયે આસપાસના લોકો અને શખસના પુત્રો આવી પહોંચતા જ તેમને બચાવી લીધા હતા. આ દરમિયાન, શખસોએ અમારા કામમાં ખોટી દખલગીરી કરવી નહીં, નહીં તો પિક્ચર પૂરું કરી દઈશું તેમ ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દાઝેલી હાલતમાં ભરતભાઈને આંકલાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભરતભાઈની સ્થિતિ હાલ નાજુક છે. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત કુલ પાંચ વિરૂદ્ધ મારામારી, હત્યાના પ્રયાસની ક્લમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના નામ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:21 am

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ:52,000 જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંગઠન શક્તિના દર્શન, સમાજના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા

જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ 'ત્રિવેણી સંગમ' કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ થતો હતો. સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 03-01-2026ના રોજ ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત 'પટેલ યુવક ગરબી મંડળ' દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત મસાલ રાસ રહ્યો હતો. તારીખ 04-01-2026ના રોજ યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરતી પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને રમેશભાઈ મુંગરા સહિતના સમાજના અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અન્ન ભેગા એના મન ભેગાના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે. સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ આ તકે મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને અન્ય સામાજિક સુવિધાઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત 52,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી જીઆઇડીસી ફ્રેસ-2 ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, મંત્રી અશોકભાઈ ચોવટીયા ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા અને ખજાનચી કિશોરભાઈ સંઘાણી, સહિત સમાજની કારોબારી સભ્યો તેમ જ સામાજિક રાજકીય સહિતના હજારોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:20 am

થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કૂવા બુરાણ શરૂ:નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી

થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી ચોટીલા સબ ડિવિઝન હેઠળના વેલાળા ગામમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પર કરવામાં આવી રહી છે. બુરાણ માટે લોડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:16 am

ખંપાળીયામાં ગેરકાયદેસર કોલસા ખનન, 7 ટ્રાન્સફોર્મર જપ્ત:ચોટીલા નાયબ કલેક્ટર અને ટીમે સરકારી જમીન પર દરોડા પાડી કાર્યવાહી કરી

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મુળી મામલતદાર અને પી.જી.વી.સી.એલ. મુળીની સંયુક્ત ટીમે ખંપાળીયા ગામના સરકારી સર્વે નંબર 50 અને 161 વાળી જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સ્થળેથી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિમાં વપરાતા 7 ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉતારી જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગેરકાયદેસર કોલસા ખનન સામે કરવામાં આવી છે. છ મહિના પહેલા પણ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ તેમની ટીમ સાથે આ જ સરકારી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. તે સમયે નીચે મુજબના વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવતું હોવાનું જણાયું હતું: (1) ખોડાભાઇ લીંબાભાઇ રબારી(2) આલાભાઇ લીંબાભાઇ રબારી(3) પ્રભુભાઇ ઘુસાભાઇ કોળી(4) જેમાભાઇ હરજીભાઇ બાવળીયા(5) પેમાભાઇ હરજીભાઇ બાવળીયા(6) ખીમાભાઇ મેરુભાઇ રબારી(7) મેરુભાઇ રામાભાઇ રબારી(8) ગોવિંદભાઇ લાખાભાઇ રબારી(9) રાજાભાઇ લાખાભાઇ રબારી(10) મંગાભાઇ કાનાભાઇ બાવળીયા(11) ભીમાભાઇ ભરવાડ ઉપરોક્ત ઇસમો દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કરીને સરકારી મિલકતને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વર્તમાન મુલાકાત દરમિયાન, સ્થળ પર કેટલું ખનન થયું છે અને કેટલું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. તમામ સંડોવાયેલા ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 11:08 am

‘અમને કોરિડોર નથી જોઈતો’ અસરગ્રસ્તોની એકસુર માગ:સોમનાથ કોરિડોર મુદ્દે પ્રભાસ પાટણમાં ફરી આક્રોશ; સમિતિનો તંત્ર પર એકતા તોડવાનો આરોપ, મિલકત ભાવ સામે પ્રશ્ન

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં સૂચિત 'સોમનાથ કોરિડોર' પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. રવિવારે (04 જાન્યુઆરી) રાત્રે પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે 'પ્રભાસ હિત રક્ષક સમિતિ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્તોએ તંત્રની નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને કોરિડોર મંજૂર નથી. સમિતિનો તંત્ર પર એકતા તોડવાનો આરોપબેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત રહેવાસીઓએ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર સીધી રીતે વાત કરવાને બદલે 'દલાલો'નો સહારો લઈ રહ્યું છે. આ દલાલો મારફતે નબળા કે ભોળા લોકોને લલચાવી-ફોસલાવીને મિલકતના દસ્તાવેજ કરાવી લેવામાં આવે છે, જેથી સમિતિની એકતા તોડી શકાય. અસરગ્રસ્તોએ માગ કરી હતી કે, જો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો તે સમિતિને વિશ્વાસમાં લઈને પારદર્શક રીતે કરવી જોઈએ. મિલકતના ભાવમાં અન્યાય: હાટ બજાર સાથે સરખામણીપ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ વળતરના દરો મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, તંત્ર બેવડા ધોરણો અપનાવી રહ્યું છે. તેમણે તર્ક આપ્યો હતો કે, સરકારના સ્વદેશી હાટ બજારમાં 45 કરોડનો ખર્ચ થયો છે, જ્યાં નાની દુકાનોના 15થી 35 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. હાટ બજારની બિલકુલ નજીક આવેલી ખાનગી રહેણાક મિલકતો માટે તંત્ર માત્ર પ્રતિ ગજ 23થી 25 હજારનો ભાવ આપી રહ્યું છે. જો હાટ બજારના દર સાથે સરખામણી કરવામાં આવે તો સ્થાનિકોની મિલકતનો ભાવ પ્રતિ ગજ 1.50 લાખ જેટલો થવો જોઈએ. નવી વસાહત માટેનો વિકલ્પસ્થાનિકોએ માત્ર વિરોધ જ નથી કર્યો, પરંતુ એક રચનાત્મક વિકલ્પ પણ સૂચવ્યો છે. સમિતિના જણાવ્યા અનુસાર, જો સરકાર ખરેખર મધ્યમ માર્ગ કાઢવા માંગતી હોય તો સોમનાથના ગુડલક સર્કલ સામે આવેલી સરકારી સર્વે નંબર 831ની વિશાળ જમીન પર વિસ્થાપિતો માટે નવી આધુનિક વસાહત વિકસાવવી જોઈએ. આ અંગેની લેખિત રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. PM મોદીના પ્રવાસને લઈ તંત્રની દોડધામઆગામી 10 અને 11 જાન્યુઆરીએ દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં કોરિડોરની કામગીરીમાં પ્રગતિ બતાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા સંપાદન પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જોકે, તંત્ર હજુ પણ મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવાનું ટાળી રહ્યું છે. શાંતિપૂર્ણ ઉકેલની અપેક્ષાછેલ્લા છ મહિનાથી ચાલતી આ ખેંચતાણને કારણે સ્થાનિકોમાં અસંતોષ છે. પ્રભાસ પાટણની જનતા ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ લાદવાને બદલે સૌહાર્દપૂર્ણ રીતે અને સ્થાનિકોના હિત જળવાય તે રીતે મડાગાંઠનો ઉકેલ આવે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:49 am

ગોધરા સાંદિપની નર્સિંગ કોલેજમાં લેમ્પલાઇટિંગ અને ઓથ સેરેમની યોજાઈ:નવા વિદ્યાર્થીઓએ માનવસેવાનો સંકલ્પ લીધો; મહાનુભાવોએ પ્રેરણા આપી

ગોધરા સ્થિત સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગના નવા વિદ્યાર્થીઓ માટે લેમ્પલાઇટિંગ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારી, પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત, યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયા, નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ અને મહેશભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નર્સિંગના નવા વિદ્યાર્થીઓને માનવસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ હાજરી આપી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નર્સિંગ ક્ષેત્ર માનવસેવાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. દર્દીના જીવનમાં નર્સ માત્ર સારવાર આપનાર નહીં, પરંતુ હિંમત, આશા અને સંવેદનાની પ્રતિમૂર્તિ હોય છે. તેમણે વિદ્યાર્થીઓને સેવા ભાવ, શિસ્ત અને સમર્પણ સાથે સમાજ પ્રત્યે જવાબદારીપૂર્વક કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ પ્રોફેશન માત્ર એક કારકિર્દી નહીં, પરંતુ માનવ કલ્યાણ માટેનું પવિત્ર કાર્ય છે. આજના સમયમાં આરોગ્યક્ષેત્રમાં કુશળ અને સંવેદનશીલ નર્સોની ખૂબ જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે માનવીય મૂલ્યો અને શિસ્ત અપનાવવા પર ભાર મૂક્યો હતો. નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડીને વિદ્યાર્થીઓને સક્ષમ આરોગ્યકર્મી બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મહેશભાઈ પ્રજાપતિએ નર્સિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા શપથવિધિ લેવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોનું કોલેજ પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:33 am

પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક:અમદાવાદમાં પ્રજાના પ્રશ્નો-સમસ્યા અંગે ધારાસભ્યો અને કોર્પોરેટરોની રજૂઆત

અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે 5 જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી છે. શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, તમામ મહામંત્રીઓ, મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે. સવારે 9:00 વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરના 2:00 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ ઉત્તર ઝોનના MLA, સાંસદો અને કોર્પોરેટરો સાથે બેઠકસૌ પ્રથમ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોનના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક શરૂ થઈ છે. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ અને પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા હાજર છે. ભાજપના નરોડાના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચન રાદડિયા બેઠકમાં હાજર છે. ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, ઠક્કરબાપાનગર, બાપુનગર, સરસપુર- રખિયાલ, કુબેરનગર અને સરદારનગર વોર્ડના કોર્પોરેટર હાજર છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:32 am

સિંહણના રેસ્ક્યુ સમયે ટ્રેકર ઘાયલ, સારવાર દરમિયાન ટ્રેકરનું મોત:ગઈકાલે સિંહણને બેભાન કરવા ગનથી કરાયેલા ફાયરીંગમાં વનકર્મી ઘાયલ થયો હતો

જૂનાગઢના વિસાવદર તાલુકામાં વન વિભાગના એક ટ્રેકરનું સિંહણના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. વિસાવદરના નાની મોણપરી ગામમાં જ્યારે વન વિભાગની ટીમ દ્વારા સિંહણને પકડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે અકસ્માતે સિંહણને બેભાન કરવા માટે વપરાતી ટ્રેન્ક્યુલાઈઝર ગનથી કરાયેલા ફાયરીંગમાં વનકર્મી ઘાયલ થયો હતો. સિંહણને બેભાન કરવાના ઈરાદે કરાયેલ ફાયરિંગથી સીધો ટ્રેકરને વાગી જતાં તેમની હાલત ગંભીર બની હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અશરફ ચૌહાણ નામના ટ્રેકરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. વન્યજીવોના રક્ષણ માટે સતત કાર્યરત રહેતા યુવાન ટ્રેકરના આ પ્રકારે થયેલા અચાનક અવસાનથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાએ વન વિભાગની રેસ્ક્યુ કામગીરી દરમિયાન રહેલા જોખમો અને સુરક્ષાના પાસાઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ.....

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:23 am

સંતરોડને તાલુકાનો દરજ્જો આપવા માગ:મોરવા હડફ તાલુકાના આગેવાનો, વેપારીઓ અને ખેડૂતોએ રજૂઆત કરી

મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામને નવો તાલુકાનો દરજ્જો આપવા માટે સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. આસપાસના ગામોના પ્રતિનિધિઓએ પણ આ માંગને ટેકો આપ્યો છે. આગેવાનોના જણાવ્યા અનુસાર, સંતરોડ ગામ ભૌગોલિક રીતે આજુબાજુના ગામો માટે કેન્દ્રસ્થાન છે. જો તેને તાલુકા મથક બનાવવામાં આવે તો આસપાસના ગ્રામજનોનો અવર-જવરનો સમય અને ખર્ચ બચશે, તેમજ સરકારી કામકાજ વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે. સંતરોડ ગામમાં રેલવે સ્ટેશન સહિતની તમામ આવશ્યક સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. ગ્રામજનોએ સરકારને વિનંતી કરી છે કે સંતરોડને તાલુકા મથક બનાવવા અંગે વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી સમગ્ર વિસ્તારનો વિકાસ થાય.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 10:00 am

પંચમહાલના શહેરામાં ખાણ ખનીજ વિભાગના દરોડા:ગેંગડીયા ગામેથી ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લામાં નદીઓ અને સરકારી જમીનો પર બિન-અધિકૃત ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ ખનીજ વિભાગે સઘન તપાસ શરૂ કરી હતી. વિભાગને શહેરા તાલુકાના ગેંગડીયા ગામે પરવાનગી વગર ખનીજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટાપાયે બિન-અધિકૃત ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ટ્રક સહિત અંદાજે ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિભાગે જપ્ત કરાયેલા તમામ વાહનોને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખનીજ ચોરી કરનારા તત્વો સામે માત્ર વાહનો જપ્ત કરવા પૂરતું સીમિત ન રહેતા, તેમની સામે મોટો દંડ વસૂલવાની અને કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:56 am

પંચમહાલમાં ગેરકાયદે ખનીજ વહન, ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત:શહેરાના ગેંગડીયામાંથી ટ્રક-જેસીબી સાથે ક્વાર્ટઝ ઝડપાયું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ક્વાર્ટઝનું ખનન કરી ટ્રકમાં ભરીને વહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ગેંગડીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન, ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને ખનન કરતા એક જેસીબી મશીનને અટકાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિનો ભંડાર આવેલો છે, ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગની ટીમ આવા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને અસરકારક કામગીરી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:55 am

સુપ્રીમ કોર્ટના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે વિરોધ:ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે ફરી વિચારણાની માગ

સુપ્રીમ કોર્ટ દ્વારા રસ્તા પરના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે દેશભરના જીવદયાપ્રેમીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પોરબંદરની ચોપાટી ખાતે ભારતીય દેશી શ્વાનોને બચાવવા માટે શાંતિપૂર્ણ અભિયાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ, પ્રાણીપ્રેમી સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. આ વિરોધ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહોતો, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે નિર્ણય પર ફરી વિચારણા કરવાની માંગ સાથે યોજાયો હતો. ઉપસ્થિત જીવદયાપ્રેમીઓએ જણાવ્યું કે તેઓ ન્યાયપાલિકાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ન્યાય માત્ર કાયદાકીય જોગવાઈઓ પૂરતો સીમિત ન રહેતા તેમાં કરુણા, સંવેદનશીલતા અને સહઅસ્તિત્વની ભાવના પણ આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ્'નો ભાવ પ્રાચીન કાળથી રહેલો છે. હિંદુ ધર્મમાં ભગવાન ભૈરવ સાથે શ્વાનનું વિશેષ સ્થાન છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં અહિંસા પરમો ધર્મ મનાય છે, જ્યારે શીખ અને ઇસ્લામ ધર્મમાં પણ તમામ જીવો પ્રત્યે કરુણા અને જવાબદારીનો ઉપદેશ અપાયો છે. આવા સંસ્કારી દેશ માટે નિર્દોષ અને અવાજ વિનાના પ્રાણીઓ પ્રત્યે કઠોર વલણ યોગ્ય નથી, તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. વિરોધ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે રસ્તા પર રહેતા શ્વાનો ગુનેગાર નથી. તેઓ બિનયોજિત શહેરીકરણ અને માનવીય બેદરકારીનું પરિણામ છે. તેમને દૂર કરવા એ ઉકેલ નથી, પરંતુ જન્મ નિયંત્રણ, રસીકરણ, સંભાળ, દત્તક પ્રક્રિયા અને જનજાગૃતિ જેવા માનવીય અને વૈજ્ઞાનિક ઉકેલો જ સ્થાયી માર્ગ છે. કાર્યક્રમ દરમિયાન ONE DAY | ONE VOICE | ONE CAUSE અને DO OR DIE – કરો કે મરો જેવા સંદેશાઓ દ્વારા સહઅસ્તિત્વ અને દયાનો સંદેશ અપાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો. અંતમાં, જીવદયાપ્રેમીઓએ સરકાર અને ન્યાયપાલિકાને અપીલ કરી કે આ નિર્ણય પર ફરી વિચારણા કરી ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને માનવતાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના હિતમાં નીતિ ઘડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:50 am

નવસારી-ગણદેવી રોડ પર શેરડી ભરેલી ટ્રક પલટી:અંધારામાં ડિવાઈડર ન દેખાતા અકસ્માત સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

નવસારી-ગણદેવી માર્ગ પર મોડી રાત્રે ઈટાળવા ગામ નજીક એક ટ્રક પલટી ગઈ હતી. 15 ટન શેરડી ભરેલી આ ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંધારાને કારણે ડિવાઈડર ન દેખાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક શેરડીનો જથ્થો લઈને જઈ રહી હતી ત્યારે ઈટાળવા પાસે અકસ્માતનો ભોગ બની હતી. રાત્રિના ગાઢ અંધારામાં ડિવાઈડર સ્પષ્ટ દેખાતું ન હોવાથી ટ્રક સીધી તેની સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 15 ટન શેરડી ભરેલી ટ્રક રોડ પર જ પલટી ગઈ. ટ્રક પલટી જતાં તેમાં ભરેલી શેરડી રસ્તા પર વિખેરાઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. અકસ્માતની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસની 'જનરક્ષક વાન' તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સૌ પ્રથમ ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી. હાલ ક્રેઈન અને અન્ય સાધનોની મદદથી રોડ પરથી ટ્રક અને વિખેરાયેલી શેરડી હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી માર્ગ ફરીથી કાર્યરત કરી શકાય. આ અકસ્માતમાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાથી રાહત અનુભવાઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:37 am

જાહેરમાં બેલ્ટ અને છુટ્ટાહાથની મારામારી:વડોદરામાં પતંગની લારીને લગાવવાના મુદ્દે 4 લોકો વચ્ચે જાહેરમાં મારામારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે ચાર લોકો વચ્ચે મારામારીનો વિડીયો થતા કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ વીડિયોમાં 4 લોકો કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે કબીર ચિકનના સામેના રોડ પર 4 વ્યક્તિઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને અને કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. આ ઝઘડો પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરો અંદરની વિવાદને કારણે થયો હતો. કુંભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને સામેલ વ્યક્તિઓની ઓળખ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.કુંભારવાડા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ અને અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદને શરીરે સામાન્ય ઈજાઓ થઈ છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને મારામારીમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓના નામ પ્રથમ પક્ષ 1. અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ (રહે: હાથીખાના ગેટ-૧ની સામે કબીર ચિકનની સામે, ઈન્દિરાનગર, વડોદરા શહેર) 2. અબ્દુલરમઝાન અબ્દુલમજીદ સૈયદ (રહે: તે જ) બીજો પક્ષ 3. અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદ (રહે: સદર સ્થળ) 4. આરીફ સલીમભાઈ મલેક (રહે: અજબડીમીલ, યાકુતપુરા, વડોદરા શહેર) ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં મારામારીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં જાણે કાયદો વ્યવસ્થાને લઈને કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઇને વડોદરા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને આ પ્રકારના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:37 am

અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઈક ચાલકે યુવકને ટક્કર મારતાં મોત:સીજી રોડ પર બે મિત્રો ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ને ઉડાવ્યા, બાઈકચાલક સહિત બેને ઈજા

અમદાવાદના સી.જી રોડ પર ગત મોડી(4 જાન્યુઆરી) રાતે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે પૂર ઝડપે આવીને રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો હતો. બાઇક ચાલક અને રોડ ક્રોસ કરી રહેલા યુવક બંનેને ઇજા થઈ હતી. પરંતુ રોડ ક્રોસ કરી રહેલા યુવકનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવીને ટક્કર મારીમળતી માહિતી અનુસાર, સી.જી રોડ પર ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષીય પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે ચાલવા ગયા હતા. બંને મિત્રો ચાલીને મરડિયા પ્લાઝા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક ચાલક પૂર ઝડપે આવ્યો હતો જેને પ્રકાશને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રકાશને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોઅકસ્માતમાં પ્રકાશને પૂરઝડપે ટક્કર વાગતા પ્રકાશના પગ પર બાઇક પર હતા. અકસ્માત કરનાર સુફિયાન મુસ્તુફા ગોતાના PGમાં રહે છે. સુફિયાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ............

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:35 am

સુરતમાંથી ફરી ઝડપાયું નકલી ઘીનું કારખાનું:તબેલાની આડમાં ચાલતું હતું કૌભાંડ; સોયાબીન-વેજિટેબલ ઓઈલમાં એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું

સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાંથી તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધણી રહ્યું હતું. પોલીસે માહિતીના આધારે છાપો મારીને નકલી ઘીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું. રાજ્યભારમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થતું હતું. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:18 am

ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ:તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા

સુરત એસ.ઓ.જી. પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે. પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૭૫ જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:58 am

પિકઅપ ગાડી પલટી, બેનાં મોત, 26 ઈજાગ્રસ્ત:બોટાદના મિલેટ્રી રોડ પર 28 ડિસેમ્બરે થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા; વાન બેવાર ગુલાંટ ખાતી રોડ પર ઢસડાઇ

બોટાદમાંથી એક ગંભીર અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. મિલેટ્રી રોડ પર ગત 28 ડિસેમ્બરના રોજ બપોરના સમયે થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભયાનક ઘટનાના લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મિલેટ્રી રોડ પરથી પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડી અચાનક ડ્રાઈવરના કાબૂ બહાર જઈ ગઈ હતી. ગાડી પલટી મારીને બેવાર ગુલાંટ ખાતી રોડ પર પલટી ગઈ હતી. માહિતી મુજબ, શહેરના હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના આશરે 28 લોકો વાડીએ જમવાના કાર્યક્રમ માટે આ પિકઅપ ગાડીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:43 am

સાઉથ બોપલના સોબો સેન્ટરમાં આગ બાદ મોટો બ્લાસ્ટ:ફટાકડા-પતંગના સ્ટોલમાં ભીષણ આગ; મોડીરાતે ગેસ સિલિન્ડર ફાટવાના અવાજથી સ્થાનિકો ફફડી ઉઠ્યાં

અમદાવાદના સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે મોડીરાતે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પતરાના શેડમાં દુકાનો ઊભી કરાઈ હતી આગ લાગવાને કારણે એક મોટો બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી. જોકે, ફાયરકર્મીઓ સમયસર પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા રોકી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:02 am

Dy. CM સંઘવી આજે રાજકોટમાં:11 મીએ PMના હસ્તે ઉદ્ઘાટિત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. જે બાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશેમારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની રીવ્યુ બેઠક તાજેતરમાં જ રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી ન અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે. જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ સેમિનાર યોજાશેઆ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં MSME, કુટિર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે. જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે. જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000થી વધુ ઉદ્યમીઓ હશે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકઆ દરમિયાન સોમવારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓને પદાધિકારીઓની બેઠક યોજાશે. જેમાં રાજકોટ ભાજપના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે વાઇબ્રન્ટ સમિટના મુખ્ય આયોજક ઇન્ડેક્ષ- બીના મેનેજીંગ ડિરેક્ટર કે.સી. સંપટ, કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી અને પ્રાંત અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:00 am

વલસાડ કોર્ટમાં આધાર કાર્ડ કેમ્પનું આયોજન:રજીસ્ટ્રેશન અને સુધારા માટે 9 જાન્યુઆરીએ કેમ્પ યોજાશે

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા વલસાડ જિલ્લા અદાલત ખાતે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ન્યાયિક વિભાગના કર્મચારીઓ, વકીલો અને પક્ષકારોની સુવિધા માટે યોજાશે. આ કેમ્પ 9મી જાન્યુઆરી 2026 ના રોજ સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ચાલશે. તેનું સ્થળ ઈ-સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ, વલસાડ ખાતે રાખવામાં આવ્યું છે. કેમ્પનો લાભ 18 વર્ષ સુધીના બાળકો, જેમના આધાર કાર્ડ બન્યા નથી અથવા અપડેટ કરવાના છે, તે લઈ શકશે. ઉપરાંત, જે પુખ્ત વયના લોકોના આધાર કાર્ડને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને અપડેટ કરાવ્યા ન હોય, અથવા જેમણે નવું આધાર કાર્ડ કઢાવવું હોય, તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓએ જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), રહેઠાણનો પુરાવો, માતા-પિતાના આધાર કાર્ડ અને સુધારા માટે અસલ આધાર કાર્ડ જેવા જરૂરી અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આ કેમ્પમાં ડેમોગ્રાફિક અપડેશન માટે ₹ 50 અને બાયોમેટ્રિક અપડેશન માટે ₹ 100 ની નિયત ફી ચૂકવવાની રહેશે. વલસાડના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ, આ કેમ્પના સુચારું આયોજન માટે તમામ સંબંધિત કર્મચારીઓ અને વકીલોએ પોતાના નામની નોંધણી 7મી જાન્યુઆરી 2026 સુધીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં કરાવી લેવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:55 am

'AAPના કાર્યકરો ભાજપમાં જોડાયાની વાત પાયાવિહોણી':વલસાડ ‘આપ’ પ્રમુખનું નિવેદન, કહ્યું- 'ભાજપ અમારા કાર્યકરોનું મનોબળ તોડે છે'

વલસાડ જિલ્લાના ફલધરા ખાતે ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) ના 300 થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને વલસાડ 'આપ' પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ભાજપ દ્વારા કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, 3 જાન્યુઆરીની રાત્રે ફલધરા ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 'આપ' ના 400 જેટલા સક્રિય કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના દવા સાથે સાંસદ ધવલ પટેલના સમાચાર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વહેતા થયા હતા. આ સમાચારને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુ દેસાઈ અને ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. તેમણે આને 'ભાજપનો ભ્રામક પ્રચાર' ગણાવ્યો છે. વલસાડ જિલ્લા 'આપ' પ્રમુખ જીતુ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે. 'આપ' નો કોઈ પણ ચાલુ હોદ્દેદાર ભાજપમાં જોડાયો નથી. ઉલટાનું, છેલ્લા છ-સાત મહિનામાં અનેક નવા કાર્યકરો 'આપ' માં જોડાયા છે અને પક્ષ વધુ મજબૂત બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે 'આપ' આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂરી તાકાતથી લડશે. ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે પણ આ વાતને નકારતા કહ્યું કે, ભાજપ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી આજે એક પરિવાર સમાન બની ગઈ છે જે લોકોના હક, અધિકાર, શિક્ષણ અને આરોગ્ય માટે લડી રહી છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પેસા (PESA) કાયદા બાબતે ભાજપ દ્વારા થતા અન્યાયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકો હવે જાગૃત થયા છે અને તેઓ 'આપ' સાથે જોડાઈ રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષના પાયાના કાર્યકરો મક્કમ છે અને ભાજપ દ્વારા ફેલાવવામાં આવતી આવી અફવાઓથી પક્ષને કોઈ નુકસાન થશે નહીં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:54 am

ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો:બોટાદના ફ્રી મેડિકલ કેમ્પમાં 95 દર્દીઓને દવા અપાઈ

બોટાદના નવ નાળા પાસે, હરણ કુઈ રોડ, નાઈટ સેન્ટર હોમ ખાતે જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જી.સી.એસ. હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે રવિવાર ના ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જી.સી.એસ. હોસ્પિટલ અમદાવાદ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.સ્મિત કાપડીયા , ડો.ઝીલ પટેલ , ડો.એકતા વ્યાસ, કેમ્પ કોઓર્ડિનેટર અંજલી ગેડામ એ માનદ સેવા આપી 95 દર્દીઓને તપાસી સ્થળ પર જ ફ્રી દવા આપવામાં આવી હતી તેમજ કેમ્પ માંથી હોસ્પિટલમાં આવનાર દર્દી ઓને એક્સ રે ,સોનોગ્રાફી , બ્લડ ,યુરિન તપાસ ફ્રી કરવામાં આવશે.જ્યારે આયુષ્યમાન કાર્ડ મારફત મફત ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે. આ પ્રસંગે જાયન્ટસ સંસ્થા ના પ્રમુખ ડો. પ્રશાંત કળથિયા, ફેડરેશન ઉપપ્રમુખ ડો. કે બી શાહ , પૂર્વ પ્રમુખ કેતન રોજેસરા ,ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, નિલેશ કોઠારી ,સેક્રેટરી દર્શન પટેલ , ઉપપ્રમુખ દીપક માથુકિયા , ડો,પરેશ ભાઈ દરજી,હરેશભાઈ પીઠવા, પ્રકાશભાઈ ભીમાણી , રાજુભાઈ ડેરૈયા, હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:53 am

બોટાદના ડીએસઓ જી.એસ.મકવાણાને સુરેન્દ્રનગર મુકાયા‎:બોટાદ જિલ્લાનાં ઉદ્યોગ સાહસિકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે અપીલ

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)-કચ્છ અને સૌરાષ્ટ્રનું આયોજન 11 અને 12 જાન્યુઆરી 26 દરમિયાન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થનાર છે. આ કોન્ફરન્સમાં બોટાદ જિલ્લાનાં અગ્રગણ્ય ઉદ્યોગ સાહસિકો, ઔદ્યોગિક સંગઠનો તથા એસો., ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં લાભ લેવા જઈ રહ્યાં છે. ખાસ કરીને બોટાદ જિલ્લાનાં તમામ ઉદ્યોગસાહસિકોને આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવા બોટાદ વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. VGRCમાં 11જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના કાર્યક્રમોમાં ભાગ લેવા ઇચ્છુક બોટાદ જિલ્લાનાં ઉદ્યોગકારોએ https://vibrantguj arat. com/registration પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું અગત્યનું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:52 am

પારડી હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી:શોર્ટ સર્કિટ થતાં i20 કાર ભડકે બળી, નીચે ઉતરી જતાં ચાલકનો બચાવ

પારડીના નેશનલ હાઈવે નંબર–48 પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર ગત રાત્રે એક ચાલુ i20 કારમાં ભીષણ આગ લાગી હતી. અભિનવ પાર્કના જેનીલ દેસાઈ પોતાની કાર (નં. GJ-15-CJ-9975) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે કારના બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક ધૂમાળો નીકળવા લાગ્યો હતો. કાર ચાલકે કાર અટકાવી નીચે ઉતર્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પારડી ફાયર ટીમને જાણ કરી હતી. પારડી નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે કાર સંપૂર્ણપણે ખાખ થાય તે પહેલાં જ મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારના એન્જિન વિભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:52 am

દાતરડી બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત તિરાડ:ભાવનગર-સોમનાથ હાઇવે પરથી પસાર થતા દરરોજના 4700થી વધુ વાહનચાલકો પર જોખમ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા અને વાહનચાલકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી દરરોજ 4700થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે. વાહનચાલકો માટે જોખમઅગાઉ પણ આ બ્રિજ પર તિરાડો પડતાં સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, ફરીથી મોટી તિરાડો પડવાને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. આ હાઇવે 24 કલાક ધમધમતો રહે છે, ત્યારે નબળી ગુણવત્તાના કામો થયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'બ્રિજ પર વારંવાર તિરાડો પડે છે'મજાદર ગામના મુનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ મજાદરથી મહુવા જાય છે અને આ બ્રિજ પર વારંવાર તિરાડો પડે છે. તેમણે સરકારને આવા બેદરકારીભર્યા કામો ન થાય અને લોકોના જીવ જોખમમાં ન મુકાય તેવી વિનંતી કરી હતી. 'વાહનો પલટી મારવાના બનાવો વધ્યા'વાહનચાલક હાર્દિકભાઈ પટેલે કહ્યું કે, તેઓ ભાવનગરથી સોમનાથ જાય છે અને દાતરડી પાસેના બ્રિજ પર વારંવાર તિરાડો જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે, આ કારણે અકસ્માતો પણ વધુ થાય છે અને વાહનો પલટી મારવાના બનાવો પણ બને છે, જે નબળા કામની નિશાની છે. દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવરભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના આ બ્રિજ પરથી સોમનાથ, ભાવનગર, મહુવા અને દીવ સહિતના સ્થળોએથી દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવર રહે છે. નવા બનેલા બ્રિજની આવી હાલત થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ સરકાર દ્વારા તપાસ એજન્સીઓ બેસાડીને આ મામલે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. પ્રભારી મંત્રીએ નેશનલ હાઈવેની તપાસ કરવા માંગ કરીરાજય સરકારના કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં અમરેલી જિલ્લામાં સ્ટેટ સહિત વિવિધ જિલ્લાના નબળા માર્ગો અને નબળા કામો ઉપર કેટલીક એજન્સીઓ સામે કાર્યવાહી કરવા તપાસ બેસાડવા કલેકટરને સૂચના આપ્યા બાદ કાર્યક્રમમા જાહેરમંચ પરથી કહ્યુ નબળા કામો કરનારાને ગુજરાત અને દેશમાં કામ નહીં કરવા દઈએ, અમરેલીમાં કેટલુંક અમારા ધ્યાને આવ્યું છે બ્લેક લિસ્ટ કરી કાર્યવાહી કરીશુ. આ પ્રકારના નિવેદન બાદ પ્રભારી મંત્રીએ નેશનલ હાઇવેમાં નબળા કામો કરનારા એજન્સીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની જરૂર છે.અથવા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને બ્રિજ ઉપર મુલાકાત લેવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:50 am

પઠાણી ઉઘરાણી:પાંચ લાખના રૂા. 6.82 લાખ પડાવી, મકાન ઉપરાંત સાત લાખની પઠાણી ઉઘરાણી કરી

ભાવનગર શહેરમાં વ્યાજ વટાવનો વ્યવસાય કરતા વ્યાજખોર પાસેથી એક યુવકે વ્યવસાય અર્થે પાંચ લાખ રૂપિયા લીધેલ હતા. જેના બદલામાં યુવકે વ્યાજ સહિત રૂા. 6.82 લાખ ચુકવી આપવા છતાં પણ યુવકના માતા-પિતાને મકાન વ્યાજખોરના નામે કરી દેવાનું તેમજ એ ઉપરાંત સાત લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, બે ચેક પડાવી લીધા હતા. બંન્ને ચેકો બેન્કમાંથી બાઉન્સ કરાવી, કોર્ટ પરિસરની બહાર જ વ્યાજખોરે ખુલ્લેઆમ દંપતિને ધમકાવીને ડર પેદા કરી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જે વ્યાજખોરના ત્રાસથી આધેડે શહેરના કાળિયાબીડ ખાતે રહેતા વ્યાજખોર વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા અને તેમના પુત્ર હિતેશભાઇ સાથે બટાકા વેચાણનો વ્યવસાય કરતા હરેશભાઇ પ્રીતમદાસ પારવાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર હિતેશભાઇએ વ્યવસાય અર્થે છએક વર્ષ અગાઉ કાળિયાબીડમાં રહેતો અને વાઘાવાડી. ટી.બી.ઝેડના શોરૂમ ઉપર બીજા માળે ઓફિસ ધરાવતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભાઇસાબભા ગોહિલ પાસેથી વ્યાજે રૂા. 5,00,000 લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરે વ્યાજ સહિત રૂા. 7 લાખ રૂપિયા પરત આપવાની વાત કરી હતી. જે બાદ ગત વર્ષ 2021 સુધીમાં હિતેશભાઇએ કટકે કટકે રૂા. 6,82,800 વ્યાજ સહિત ચુકવી આપેલ હતા. પરંતુ તે ગાળામાં વ્યાજખોર રાજેન્દ્રસિંહે વકીલને બોલાવી, હરેશભાઇના મકાન પોતાના નામે લખાવી, બળજબરીથી સહી કરાવી લીધી હતી અને હિતેશભાઇ અને તેની પત્નીના નામે બે કોરા ચેક લઇ, રકમ લખી બંન્ને ચેકો બેન્કમાંથી બાઉન્સ કરાવી, હરેશભાઇ ઉપર ચેક પરતનો કેસ કર્યો હતો. જે દરમિયાન ફરિયાદી કોર્ટમાં જતાં કોર્ટ પરિસરની બહાર વ્યાજખોરે પુત્રને જોઇ લઇશ તેમ કહી, હરેશભાઇને ધમકી આપી, મકાન ઉપરાંત વધુ સાત લાખ રૂપિયા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હરેશભાઇએ વ્યાજખોર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભાઇસાબભા ગોહિલ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:50 am

તાલુકા સંકલન બેઠક મળી:ભાવનગર તાલુકાના વિકાસના કામોને વેગ આપવા તાકીદ

પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામ્ય વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા બેઠક મળી હતી. જેમાં ભાવનગર તાલુકાના વિકાસકામો ની ચર્ચા કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે કર્યા બાદ જે લોકોના પ્રોપર્ટી કાર્ડ બાકી છે, બિન ખેતી થયેલ પ્લોટ માટે ગામ નમુના બે, આકાણી પત્રક, રસ્તાઓ બાબત, એસ.ટી.ના પ્રશ્નો અંગે, સ્મશાન નિમ કરવા બાબત થતા ગામડાઓમાં અનિયમિત વીજળી બાબત અને અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવેલ સરકાર ગ્રામ્ય વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે. એટીવીટી સભ્ય રાજુભાઈ ફાળકી, પ્રવીણભાઈ બારૈયા સહિત વિભાગના અધિકારી, પદાધિકારીઓ હાજર રહી લોક સમસ્યા, પ્રશ્નો નિરાકરણ માટે રજુઆત કરી હતી. તેમણે વિકાસકામો કયા સ્ટેજ ઉપર છે તેને સમયસર પૂર્ણ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા, તાલુકા વિકાસ અધિકારી પિયુષ રાવત , નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા, જીજ્ઞાબેન સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:48 am

લોક માંગ:સિહોરની જનતાને રિવરફ્રન્ટની સુવિધાની જરૂર

સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. ઐતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ પણ સિહોરનું એક અનેરું મહત્વ છે.ઐતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે. પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો ઐતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે. સિહોરમાં ગૌતમ ઋષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું તેવી ગૌતમી નદીમાં આ વરસે પડેલા સારા વરસાદને કારણે અત્યારે પાણી છે જેથી સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવરફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે પણ ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે.અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના ઐતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. રિવર ફ્રન્ટ બને તો આકર્ષણનું કેન્દ્ર બનેસિહોરએ તાલુકા મથક છે. અહીં નવનાથ અને પાંચપીરના બેસણા છે. સિહોર નગરપાલિકા અને 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો છે. સિહોરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ ધોરીમાર્ગ પસાર થાય છે. આથી સિહોરએ સિહોરવાસીઓ અને અન્ય પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. રવિવાર કે જાહેર રજાના દિવસે લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે એવા સ્થળો આંગળીના વેઢે ગણી શકાય એવા માંડ છે.જો સિહોરમાં રિવર ફ્રન્ટ બને તો સિહોર શહેર ઉપરાંત તાલુકાના લોકો માટે પણ એ લાભદાયી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:47 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં ચાર રસ્તાઓ બની રહ્યા છે વાહન અકસ્માતોના કેન્દ્ર : ટ્રાફિક સિગ્નલ મૂકો

ભાવનગર શહેરમાં દિવસેને દિવસે વધતા જતા વાહન વ્યવહારને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક અકસ્માતો તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોવાના બનાવોએ શહેરમાં ચિંતા જગાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે વાહનો બેફામ ઝડપે દોડે છે અને ટ્રાફિક નિયંત્રણની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ સતત વધતી જાય છે. ત્યારે વાહનોની વધતી ઝડપને કાબુમાં લેવા તંત્રએ પગલાં લેવા જરૂરી છે. ભરતનગર ચોકડી પાસે આવેલ લાલાબાપા ચોક, સુભાષ નગર ચાર રસ્તા દેરાસર સામે, ડોન ચોક ચાર રસ્તા ભાવનગર નાગરિક બેંકની, ટોપ થ્રી સર્કલ પાસે તેમજ રબર ફેક્ટરી ચાર રસ્તા જેવા વિસ્તારોમાં રોજબરોજ ભારે વાહનવ્યવહાર જોવા મળે છે. આ સ્થળોએ વાહનો અટક્યા વગર પસાર થાય છે અને ઘણી વખત પદયાત્રીઓ તથા દ્વિચક્રી વાહનચાલકો જોખમમાં મુકાતા જોવા મળે છે. સ્થાનિક પરિસ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે અહીં ટ્રાફિક સિગ્નલ અને સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાની તાત્કાલિક જરૂરિયાત છે. શહેરના જુના વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો જોવા મળે છે, પરંતુ નવા વિકસતા વિસ્તારોમાં આવી વ્યવસ્થા અછતમાં છે. પરિણામે વાહનોની ઝડપ પર કોઈ નિયંત્રણ રહેતું નથી અને અકસ્માતો ની શક્યતા વધી જાય છે. જો આ વિસ્તારોમાં નવા ટ્રાફિક પોઇન્ટ ઊભા કરી સિગ્નલો અને સ્પીડ બ્રેકર સ્થાપિત કરવામાં આવે તો વાહનવ્યવહાર સુવ્યવસ્થિત બની શકે અને અનેક નાગરિકોના જીવ બચાવી શકાય. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર તંત્રએ કોઈપણ વિલંબ કર્યા વગર તાત્કાલિક જરૂરી પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:46 am

તોલમાપના નિયમ ભંગ કરનાર દંડાયા:ભાવનગર અને બોટાદમાં સોના અને ચાંદીના 17 એકમો સામે કેસ કરાયા

ગ્રાહકોના હિતોની રક્ષા, વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે અને આ અભિયાનના ભાગરૂપે તોલમાપ તંત્ર દ્વારા તા. 2 અને 3 જાન્યુઆરી, બે દિવસ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.6,79,000 જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે. આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીર સોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર વડોદરા,પાટણ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે તેમ ગાંધીનગરના કાનૂની માપવિજ્ઞાન તંત્રએ જણાવ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની તપાસ હાથ ધરતાં કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. કઇ કઇ ગેરરીતિ ઝડપાઇ ગઇઆ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:44 am

યુનિ. ખાતે અદ્યતન ડિજિટલ સ્ટુડિયો નિર્માણાધીન:ડિજિટલ સ્ટુડિયોથી યુનિ.માં શિક્ષણ પદ્ધતિ વધુ સક્રિય થશે

શિક્ષણના ક્ષેત્રે નવીન તકનીક સાથે સુસંગત રહેવા અને ગુણવત્તાપૂર્ણ ડિજિટલ સામગ્રી નિર્માણ માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે એક અદ્યતન ડિજિટલ સ્ટુડિયોની રચના કરવામાં આવી રહી છે. આ સ્ટુડિયોમાં યુનિવર્સિટીના અનુભવી અધ્યાપકો દ્વારા ઉચ્ચ-ગુણવત્તાવાળી ઈ-કન્ટેન્ટ અને વિડિઓ શૈક્ષણિક સામગ્રી (વિડિઓ રિસોર્સ) તૈયાર કરવામાં આવશે, જે આધુનિક શિક્ષણ પદ્ધતિઓને વધુ સક્રિય અને પ્રભાવી બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. ડિજિટલ સ્ટુડિયોની આ સુવિધા ફક્ત શૈક્ષણિક વિડિઓ બનાવવા સુધી મર્યાદિત નથી પણ સુવિધા મળવાથી સમગ્ર સત્ર માટે પૂર્વ-રેકોર્ડેડ, ગુણવત્તાપૂર્ણ વ્યાખ્યાનોનું નિર્માણ થઇ શકશે, દેશ-વિદેશના વિદ્વાનોના ઑનલાઇન/રેકોર્ડેડ સેમિનાર, પેનલ ચર્ચા અને વ્યાખ્યાનોનું આયોજન શક્ય બનશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિષયવાર શૈક્ષણિક પોડકાસ્ટ થઇ શકશે. વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ અંતર્ગત વિદ્યાર્થીઓને તેમના સંશોધન, ઇન્ટર્વ્યુ અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સ માટે વ્યાવસાયિક રેકોર્ડિંગ સુવિધા મળશે. શૈક્ષણિક સંશોધન સામગ્રી, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજીકરણ માટે ઉપયોગ થઇ શકશે. યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ, ઉપલબ્ધિઓ અને જાહેર સેવા સંદેશા વ્યવહાર માટે વિડિઓ સામગ્રીનું નિર્માણ કરી શકાશે તેમ યુનિ.ના કુલપતિ ડો.ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતુ. યુનિ.ના વિદ્યાર્થીઓને મળનારા ફાયદાઓ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:42 am

વીજળીની સમસ્યાનો આવશે તાત્કાલિક ઉકેલ:ભાવનગર જિલ્લામાં મળશે 32 FRT ટીમોની સવલત

ભાવનગર જિલ્લાના વિકાસ અને વિસ્તારમાં વધારો થવાની સાથે 2026ના નવા વર્ષમાં અનેકવિધ કામોથી લોકોની સવલતોમાં વધારો થવાનો છે. જે માં વીજળીને લગતી સમસ્યા તાત્કાલિક ઉકેલ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગર સહિત 11 જિલ્લા13 ની સર્કલ કચેરીઓમાં રૂ.272 કરોડના ખર્ચે GPSથી સજ્જ વ્હીકલ સાથે 256 FRT (ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમ)ની ટીમો મુકવામાં આવનાર છે ત્યારે 2026ના વર્ષમાં ભાવનગર જિલ્લાને પણ 32 FRT ટીમોની સવલત મળશે. પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને જાન્યુઆરી-2026 મહિનાથી લાગુ કરવા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં કુલ 126 FRT ટીમો 365 દિવસ અને 24x7 સેવારત બનશે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ કચેરી ખાતે GPSથી સજ્જ વ્હીકલોનું આગમન થયું છે ત્યારે દસ્તાવેજી પ્રક્રિયાની જરૂરી કાર્યવાહી બાદ નજીકના સમયમાં ભાવનગર જિલ્લામાં 32 FRT ટીમોની કાર્યરત બનશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:40 am

વેધર રિપોર્ટ:10 કિલોમીટરની ઝડપે પવન સાથે સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો

ભાવનગર શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતાં જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને આજે સવારે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા અને સાથે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ ઉષ્ણતામાને લોકોએ સવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. શહેરમાં નવા વર્ષના આરંભે ગઇ કાલથી ઉત્તર દિશાના બરફવર્ષાના પવનથી ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં ગઇ કાલે લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે સવારના સમયે 10 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતા ભાવેણાવાસીઓએ ઠંડીનો સતત બીજા દિવસે સવારે અને મોડી રાત્રે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 83 ટકા હતુ જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 53 ટકા નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડી રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:40 am

સિટી એન્કર:ભાવનગરના નંદીશ ભટ્ટે મેળવી નાટકોમાં નામના

ઘરથી દૂર કોઈ શહેરમાં રહીને સંઘર્ષ કરતાં બાળકોની વાત લગભગ હવે દર ઘરે થતી જોવા મળે છે. પણ આ જ વાત એ બાળક અને માતા પિતા બંનેના દ્રષ્ટિકોણથી, અને એ પણ એક મનોરંજક નાટ્ય રૂપાંતરણ સાથે જોવા મળે તો કેવું ? આ અનુભવ કરાવતું ‘ત્રિનેત્ર થિયેટર્સ’નું પરિવારિક મનોરંજક નાટક ‘બેચલર્સ એકોમોડેશન’ તાજેતરમાં ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહમાં યોજાઇ ગયું. મૂળ ભાવનગરના અને અમદાવાદમાં છેલ્લાં 8 વર્ષથી ગુજરાતી અને હિન્દી રંગભૂમિ તથા ફિલ્મોમાં કાર્યરત નંદીશ ભટ્ટ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ નાટકમાં નંદીશ સાથે ધ્વનિત, સ્મિત, માર્ગી, શ્વેતા, નવિદ, હેત, હર્ષ વગેરે અમદાવાદ થિયેટરના કલાકારો જોડાયેલ છે. આ નાટક ગુજરાતનાં વિવિધ શહેરોમાં 25થી વધુ શૉ કરીને દરેક વયનાં પ્રેક્ષકોનો પ્રેમ મેળવી રહ્યું છે. ભાવનગરમાં યોજાયેલા શૉનાં આયોજનમાં વિવેક પાઠક, સંદીપ પંડ્યા તથા નાટક ‘ભણકારા’ની આખી ટીમે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વિશ્વસ્તરે સુંદર પ્રદર્શન કરી લોકોનાં દિલ જીતનારી ફિલ્મ ‘લાલો - કૃષ્ણ સદા સહાયતે’માં પણ નંદીશે સુંદર ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીમાં ગૌરવપૂર્ણ મુકામ હાંસલ કર્યો છે. ભાવનગરનું નામ રોશન કરનાર નંદીશે બાલમંદિરથી ધોરણ 12 સુધીનો અભ્યાસ ભાવનગરથી કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગરની બી વી એમ એન્જીનિયરીંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું છે. હવે નાટ્ય અને ફિલ્મોના ક્ષેત્રે કાર્યરત રહીને કલાનગરી ભાવનગરનું ગૌરવ વધારી રહ્યાં છે. ફિલ્મોમાં એક્ટર, રાઇટર અને ડિરેક્ટર તરીકે કાર્યરતસતત 8 વર્ષથી એ અમદાવાદ ખાતે સ્ટેજ અને ફિલ્મોમાં એક્ટર, રાઇટર અને ડિરેક્ટર તરીકે કામ કરતો આવ્યો છે. ‘લાલો’ અને ‘બેચલર્સ એકોમોડેશન’ ઉપરાંત નંદીશના નોંધપાત્ર કામોમાં ‘ઉડન છૂ’, ‘ભેદ’ જેવી ગુજરાતી ફિલ્મો, ‘મુરશીદ (હિન્દી)’, ‘સંતાકૂકડી’, ‘થૂપ્પિસ’, ‘કાયદેસર’ જેવી વેબ સીરિઝ અને ‘મહેતા Vs મહેતા’, ‘હમ કૌન હૈ’, ‘કુમારની અગાશી’, ‘મૃત્યુંજય’, ‘આત્મસમર્પણ’ વગેરે નાટકોનો પણ સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:39 am

ઠગાઈનો નવો કીમિયો:વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની એપીકે લિંક મોકલી ગઠીયાએ આધેડના 2.53 લાખ ટ્રાન્સફર કરી લીધા

સાયબર ફ્રોડ કરનારે હવે લગ્નની કંકોત્રીના નામે ઠગાઇ કરી રહ્યા છે. વોટ્સએપ પર ગઠીયાએ મોકલેલી કંકોત્રીની એપીકે ફાઇલ ખોલતા જ એમ્બ્રોઇડરીના કારીગરના ખાતામાંથી ફ્રોડ કરનારે ફોન હેક કરીને તેના ખાતામાંથી 3 ટ્રાન્જેકશન કરીને2.53 લાખ લઇ લીધાનો બનાવ બન્યો છે. વાલક ગામ વૃંદાવન હોમ્સમાં રહેતા વિનુભાઇ મકોડભાઇ નાકરાણી (ઉ‌વ.49) મગોબ આઇ માતા રોડ સ્થિત ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે. તા.10-4-2025ના રોજ વિનુભાઇ નોકરી પર હતા ત્યારે તેમના વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ.એપીકેની લીંક આવી હતી. વિનુભાઇને એમ કે કોઇ સંબંધીએ મોકલી એમ સમજીને લીંક ખોલી હતી. પણ આમંત્રણ કાર્ડ ખુલ્યુ ન હતું. જેથી વિનુભાઇએ તમે કોણ છો એમ મેસેજ મોકલ્યો હતો. પણ કોઇ જવાબ આ‌વ્યો ન હતો. બીજા દિવસે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ગઠીયાએ વિનુભાઇનો મોબાઇલ ફોન હેક કરી લીધો હતો. જેથી ફોન અચાનક ચાલુ થઇ ગયો હતો. પણ સિમકાર્ડ બંધ થઇ ગયો હતો. દરમિયાનમાં ગઠીયાએ તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ.96,000, બીઓબીના ખાતામાંથી 89250 તથા યુનિયન બેંકના ખાતામાંથી રૂ.68,000 મળી કુલ રૂ.2,53,250 ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવ અંગે વિનુભાઇએ લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડના ગુનો નોંધી તપાસ આદરી છે. એપીકે ફાઇલ ડાઉનલોડ થાય તો તાત્કાલિક મોબાઇલ ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દેવોએક્સપર્ટ મુજબ એપીકે ફાઇલ એક પ્રકારનો સોફટવેર છે. જેના કોડીંગના કારણે મોબાઇલ હેક કરી શકે છે. ભૂલથી કદાચ APK ફાઇલ ડાઉનલોડ કરવામાં જો ફોન હેક થાય તો સૌથી પહેલા મોબાઇલને ફલાઇટ મોડમાં મુકી દો, અથવા ફોનમાંથી સીમકાર્ડ કાઢી નાખો, જેથી ફોન હેક કરી શકશે નહિ. સેટિંગમાં જઈ એપમાં ચેક કરી શકો છો, જો એપ ડાઉનલોડ થઈ હોય તો એપ ડિટેઇલ્સ ઈન સ્ટોરમાં એપ્લીકેશન કેવી રીતે ડાઉનલોડ થઈ તે પણ બતાવી દેશે. જાણકાર પાસે એપ ડીલીટ કરાવી દેવાની અને પોલીસને જાણ કરવી. પૂર્વ ભૂસ્તશાસ્ત્રીના ફોનને હેક કરી ફાઇલ મોકલીએપીકે ફાઇલ સુરતમાં ફરજ બજાવી ચૂકેલા ભુસ્તર શાસ્ત્રી ડી.કે. પટેલના વોટ્સએપ એકાઉન્ટ સાયબર માફિયા દ્વારા હેક કરીને લોકોને .એપીકે ફાઇલ મોકલવામાં આવી રહી છે. ડી.કે પટેલના ફોટા સાથેના વોટ્સએપ પર રિમાઇન્ડર એલર્ટ લખ્યા બાદ PM Challan Notice.apk ફાઇલ મોકલવામાં આવે છે. આ અંગે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આ‌વ્યો હતો પણ સંપર્ક થઇ શક્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:34 am

એસઓજીનું દરિયામાં ઓપરેશન:ભરતી સમયે ડુમસ ડક્કા ઓવારા પર ચોરીનું ડીઝલ લાવી ટેમ્પોમાં ઝિંગાના તળાવોમાં સપ્લાય કરાય છે

હજીરાના દરિયામાં આવતા જહાજમાંથી ડીઝલ ચોરીનું મોટું રેકેટ એસઓજીએ શનિવારે પકડી પાડયું છે.એસઓજીના પીઆઈ સોનારાની સૂચનાથી સ્ટાફે દરિયામાં પ્રાઇવેટ બોટમાં બેસી વોચ ગોઠવી હતી. દરમિયાન એક બોટમાં ડીઝલના મોટા પ્રમાણમાં બેરેલ સાથે મજૂરો પકડાયા હતા. મજૂરોની પૂછપરછ કરતા 4 ડીઝલ માફિયાના નામો આપ્યા હતા પછી આ ડીઝલ કંઈ જગ્યા પર લઈને જવાના તે બાબતે કડક હાથે તપાસ કરી હતી. જેમાં એક ઝિંગા ફાર્મ દરિયાની વચ્ચે બનાવવામાં આવેલું હતું. જ્યાં ડીઝલ માફિયાઓ ડીઝલનો સ્ટોક કરી વહેલી સવારે ભરતીના સમયે ત્યાંથી ડુમસ ડક્કા ઓવારા પર લાવી ટેમ્પામાં ઝિંગા તળાવોમાં સપ્લાય કરી દેતા હતા. આ ડીઝલ ચોરીનો ધંધો છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહયો છે અને સ્થાનિક પોલીસ આ બાબતે જાણતી હોય છતાં કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. અગાઉ ડીઝલ માફીયાઓ સામે ગાંધીનગરની વિજીલન્સે બબ્બે વારની કાર્યવાહી કરી છતાં પણ આ બેનંબરી ધંધો દરિયામાં બેરોકટોક ચાલી રહ્યો છે. ઉપરથી દરિયામાં આવી ગતિવિધી ચાલતી હોય છતાં મરીન પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. એસઓજીએ લાખોની કિંમતનો લગભગ 200થી વધુ બેરેલડીઝલનો જથ્થો તેમજ 4 બોટો કબજે કરી હોવાની વાત સામે આવી રહી છે. બચાવવા મોટા માથા મેદાનમાંડુમસના ઓવારાથી ડીઝલના ટેમ્પો સપ્લાય માટે નીકળે છે ત્યારે માફિયાની જે પ્રાઇવેટ ગાડીમાં પાઈલોટિંગ કરાય છે ગાડી મોટે ભાગે એક પોલીસકર્મી વાપરતા હોવાની વાત છે. માફીયાઓમાં ગવિયરના તેજસ, રાજો ડુમસનો અજીત, અજય, જૈમો હોવાની વાત સામે આવી છે. અજીતને બચાવવા મોટા માથાએ વચ્ચે પડયા હોવાની ચર્ચા છે. 24 કલાક સુધી દરિયામાં વોચડીઝલ ચોરોને કૅપ્ટન માટે એસઓજીના સ્ટાફેને 24 કલાક સુધી દરિયામાં રહેવાની નોબત આવી ડીઝલ ચોરીના ઓપરેશન માટે એસઓજીના સ્ટાફે શનિવારે સવારથી લઈ રવિવારે સાંજ સુધી દરિયામાં રહેવું પડયું હતું. કેમ કે ભરતીના પાણી આવે ત્યારે ડીઝલ ભરેલા બેરેલો બહાર લાવી શકાય તેમ હતું. તમામ બેરેલો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. મોટા જહાજના કેપ્ટન સાથે ડીઝલ માફિયાઓની સાઠગાંઠહજીરાની કંપનીમાં આવતા કેટલાક મોટા જહાજના કેપ્તાન સહિતના સ્ટાફને ડીઝલ માફીયાઓ દિવસ દરમિયાન બોટમાં જઈ પહેલા ગોઠવણી કરી આવતા હોય છે. એટલું જ નહિ જહાજના સ્ટાફને સુરતના મોલમાં ફરવાથી લઈ ખરીદી તેમજ ખાણીપીણીની તમામ સવલતો માફીયાઓ કરી આપે છે. ત્યાર પછી તેનો મોબાઇલ નંબર લઈ મધરાત્રે બોટમાં મજૂરો સાથે જતા હોય છે. જહાજ પાસે બોટ પહોંચે એટલે ડિઝલમાફીયાઓ કોલ કરી દેતા હોય છે. પછી જહાજનો સ્ટાફ ઉપરથી દોરડું નાખે છે. જે દોરડામાં પાઇપ બાંધી પાછો જહાજમાં ડિઝલની ટેન્કમાં નાખી દેવામાં આવે છે. ડિઝલમાફીયાઓ જનરેટરની મદદથી મોટર ચાલુ કરી બોટમાં મુકેલા બેરેલમાં ગણતરીના મિનીટમાં ડીઝલ ભરી નીકળી જતા હોય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:33 am

નર્સે કર્યો આપઘાત:ડ્યુટી મામલે સ્ટાફ સાથે ઝઘડો થતા 45 વર્ષીય નર્સે કેમિકલ પી જીવન ટૂંકાવી લીધું

રાંદેર વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલમાં 45 વર્ષની સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ સર્જરીના સાધનો ડીસઈન્ફેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ પી જીવન ટુંકાવી લીધું હતું. સ્ટાફ સાથે ડ્યુટી ગોઠવવા બાબતે ઝગડો થયા બાદ માઠુ લાગી આવતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પાલ રાજ કોર્નરની પાછળ સુડા આવાસમાં રહેતા 45 વર્ષીય અમીષાબેન હેમંતભાઈ શર્મા રાંદેર મોરા ભાગળ પાસે આવેલી જનની હોસ્પિટલમાં સિનિયર નર્સ તરીકે નોકરી કરી પુત્રી અને તેમનું ગુજરાન ચલાવતા હતા. તેમના પતિનું 12 વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું. રાંદેરની જનની હોસ્પિટલમાં તેઓ ઓપરેશન થિયેટર ઈન્ચાર્જ પણ હતા. શનિવારે રાત્રે તેમણે જનની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતું ફોર્મોલીન પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમિષા શર્માએ ફોર્મોલિન પી લીધાની જાણ થતાજ તેમને તાત્કાલિક સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. સિનિયર નર્સ દ્વારા ફોર્મોલિન પી જીવન ટૂંકાવી લેવાના બનાવની જાણ થતા જ રાંદેર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સિનિયર નર્સ અમીષાબેન શર્મા ઓપરેશન થિયેટર ઈન્ચાર્જ હોવાથી ડ્યૂટી ગોઠવવા બાબતે અન્ય સ્ટાફ સાથે તેમને શનિવારે ઝગડો થયો હતો. જેમાં માઠુ લાગી આવતા અમીષાબેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સાધનો ડિસઇન્ફેક્ટ કરવા ફોર્મોલિનનો ઉપયોગફોર્મોલિન એક સોલ્યુશન છે જે હોસ્પિટલમાં સર્જરીના સાધનો ડિસઈન્ફેક્ટ કરવા માટે, મૃતદેહ અને ટીશ્યુને સુરક્ષિત રાખવા માટે, લેબોરેટરીમાં નમૂનાઓ સાચવવા, રૂમ, વોર્ડ ઓપરેશન થિયેટર ફ્યૂમિગેશન માટે તેમજ જીવાણુ, બેક્ટેરીયા અને વાયરસ નાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સોલ્યુશન આંખ, નાક, ફેફસાંને ગંભીર નુકસાન, લાંબા સમય સુધી સંપર્કથી કેન્સરનું જોખમ વધે છે તેમજ ત્વચા પર પડવાથી બળતરા થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:32 am

વૃદ્ધે કરી આત્મહત્યા:વરાછામાં માનસિક બીમારીથી કંટાળી 65 વર્ષીય વૃદ્ધનો ફાંસો

વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માનસિક બીમારીથી કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આ‌વ્યું છે. મૂળ અમરેલીના વતની અને હાલમાં વરાછાના એ.કે. રોડ પુષ્પક રો હાઉસ ખાતે રહેતા 65 વર્ષીય ભરતભાઈ દેવજીભાઈ કાતરોડીયા નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. શુક્રવારે રાત્રે તેમણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ થતા અશ્વનિકુમાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમીક તપાસમાં ભરતભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાનું અને બીમારીથી કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે અશ્વનિકુમાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:31 am

ગોઝારો બનાવ બન્યો:ઉધનામાં મામાના ઘરે પતંગ ચગાવતા ચોથા માળેથી પટકાતાં બાળકનું મોત

ઉધનામાં મામાના ઘરે રહેતા 9 વર્ષના બાળકનું પતંગ ચગાવતી વખતે ચોથા માળના ટેરેસ પરથી પટકાતા મોત નીપજ્યું હતું. ઉધના વિજ્યા નગર રાધાકૃષ્ણ આવાસ ખાતે રહેતો મીર પ્રેમલ પટેલ છેલ્લા એક વર્ષથી માતા સાથે મામાના ઘરે રહેતો હતો. તેના પિતા હીરાના કારખાનામાં કામ કરતા હતા. જોકે વતન મહેસાણા ખાતે મકાનનું કામ ચાલુ હોવાથી તેઓ છેલ્લા એક વર્ષથી વતનમાં રહે છે. મીર ઘર નજીકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. ગઈ તા.2 જાન્યુઆરીના રોજ મીર આવાસના ટેરેસ પર પતંગ ચગાવતો હતો. ત્યારે પતંગ ચગાવતી વખતે કોઈક રીતે સંતુલન ગુમાવી દેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા મીરને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન શનિવારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ઉધના પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પતંગની દોરી આવી જતા યુવકને ઈજાઅમરોલી કોસાડ આ‌વાસ ખાતે રહેતા 30 વર્ષીય અરૂણ ભાગવતપ્રસાદ તિવારી શનિવારે રાત્રે બાઈક લઈ અમરોલી બ્રિજ પરથી અમરોલી તરફ જતા હતા. તેઓ બ્રિજ પરથી શાકમાર્કેટ પાસે ઉતરતા અચાનક પતંગની દોરી વચ્ચે આવી ગઈ હતી. જેથી ગળાના ભાગે ઈજા થતા તેમણે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સદનસીબે તેમને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ ન હતી. પતંગ પકડવામાં દીવાલ પરથી પટકાતા ઇજાગ્રસ્તપતંગ પકડવા જતા દીવાલ પરથી પટકાતા બાળક ઈજાગ્રસ્ત થયો. વરાછામાં પતંગ પકડવા જતા દીવાલ પરથી પટકાવાના કારણે દસ વર્ષીય બાળક ઈજાગ્રસ્ત થયો હતો. વરાછા રાધાકૃષ્ણ મંદિર પાસે શ્રી સોસાયટી ખાતે રહેતો કૃણાલ સંતોેષ વાઘેલા ધોરણ 4માં અભ્યાસ કરે છે. રવિવારે સવારે કૃણાલ ઘર નજીક જવલંત ટાઉનશીપની વાડીની દીવાલ પર પતંગ પકડવા માટે ચડ્યો હતો. સંતુલન ગુમાવતા નીચે પટકાતા હાથના ભાગે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સ્મીમેર દાખલ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:30 am

રાજ્યમાં સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા:સુરતમાં 3 વર્ષમાં સૌથી વધારે 2025માં 1016થી વધુ અસામાજિક તત્વો પાંજરે

વર્ષ 2025માં સુરત શહેર પોલીસની PCBએ પાસા હેઠળ રેકોર્ડબ્રેક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષમાં 1016 આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2024ની સરખામણીએ આ આંકડો ઘણો વધારે છે. ગુજરાત પોલીસમાં સૌથી વધારે લિંબાયત પોલીસે 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દીધા છે. વર્ષ 2025માં 507 લુખ્ખા તત્વો અને 307 બુટલેગરોને પાસા હેઠળ જેલભેગા કરાયા છે. 43 જાતીય સતામણી કરનારાઓ સામે કડક પગલાં લીધા છે. વ્યાજખોરી, અનૈતિક વેપારમાં સંડોવાયેલા ગુનેગારોને પણ પાસા કરાયા છે. સુરત પોલીસે આ વર્ષે 27 જેટલા સાયબર ક્રિમિનલ્સને પાસા હેઠળ જેલભેગા કર્યા છે. પોલીસે જે રીતે સાઇબર ગુનેગારોને પકડ્યા છે. ભય-અશાંતિ ફેલાવનારા સામે ઝીરો ટોલરન્સ આ વખતે ખાસ કરીને સાયબર ક્રાઇમ, કાપડ અને હીરામાં થતી ચીટિંગ, ખંડણી, વ્યાજખોરી તેમજ જાતીય સતામણી માં સંડોવાયેલા તત્વો સામે પાસાની કાર્યવાહી કરાઇ છે. ભય અને અશાંતિ ફેલાવનારા તત્વો સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આવનારા દિવસોમાં પણ આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે. > અનુપમસિંહ ગહલૌત, પોલીસ કમિશનર, સુરત શહેર ગૌહત્યા, કાપડ અને ડાયમંડ ચીટિંગમાં કડક પગલા 1. લિંબાયત - 100 2. ઉધના - 90 3. પાંડેસરા - 81 4. સચીન - 56 5. ભેસ્તાન - 52 સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલાયા હતા. ઉધના, પાંડેસરા,સચિન, ભેસ્તાનમાં કાર્યવાહી કરાઇ હતી રાજ્યમાં સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:29 am

શપથ ગ્રહણ સમારોહમાં હર્ષ સંઘવીનું સંબોધન:‘બાળકોને કુપોષણથી મુક્ત કરવા તબીબોનો સહયોગ અનિવાર્ય છે’

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુપોષિત બાળકો માટે તબીબો વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે. સમારોહને સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને કુપોષણના વીષ ચક્રમાંથી બહાર કાઢવા માટે સરકારની સાથે-સાથે ડૉક્ટરોનો સહયોગ અનિવાર્ય છે. તેમણે મુખ્યત્વે બાબતો પર ભાર મૂક્યો હતો કે, ડૉક્ટરોએ શાળાએ જતાં બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેથી, કુપોષણને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય. માત્ર સારવાર જ નહીં પરંતુ, વાલીઓમાં પોષણક્ષમ આહાર બાબતે જાગૃતિ લાવવા માટે ડૉક્ટરોએ આગળ આવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:25 am

શાકોત્સવમાં 17 હજાર ભક્તોએ ભાગ લીધો:શ્રીજી મહારાજે કરેલી આજ્ઞા મૂળ સંપ્રદાયની પરંપરા છે તેને અવગણી વર્તવું નહીં : આચાર્ય

વાલક પાટીયા, સ્વામિનારાયણ મિશન પ્રાગણમાં રવિવારે સાંજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17000થી વધારે ભક્તોએ ભોજન, પ્રસાદ અને સત્સંગનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મિશનના સ્થાપક નીલકંઠ ચરણદાસજી સ્વામીએ 2026ના વર્ષને ભજન વર્ષ તરીકે જાહેર કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ધોરાજી નજીક ફરેણી ગામ ખાતે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હતો. તે દિવસની ઉજવણી નિમિત્તે ભક્તો વર્ષ દરમિયાન જુદા જુદા ભજન ભક્તિના કાર્યક્રમો કરશે અને 1 કરોડ મંત્રજાપ કરી શ્રીજી મહારાજને અર્પણ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનું નામ શિરમોર છે તેવા દાદા ખાચરના પરિવારનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે પરિવારમાં એકતા ખૂબ જ જરૂરી છે. રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે તે પ્રમાણે ચાલવું તેમાં આપણું કલ્યાણ છે તેમણે કરેલી આજ્ઞા એ જ મૂળ સંપ્રદાયની પરંપરા છે. ઘણાને ધન સંપત્તિ કે લોકોનો સમુદાય જોઈને નવું કરવાના વિચારો આવતા હોય છે. પરંતુ મહારાજે જે વચનામૃત અને શિક્ષાપત્રીમાં કહ્યું છે તેને અવગણીને ક્યારેય વર્તવું નહીં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:25 am

કોર્ટે અપાવ્યો ન્યાય:83 હજારનો પગાર ધરાવતા શિક્ષકનું અકસ્માતમાં મોત, કોર્ટે 4 માસમાં જ પરિવારને 1 કરોડનું વળતર અપાવ્યું

ચાર મહિના અગાઉ સુરત-વડોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર ચાલક શિક્ષકનું કરુણ મોત થયું હતું. આ કેસમાં આજે વીમા કંપની સાથે સમાધાનના કેસમાં મરનાર શિક્ષકના પરિજનોને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવામા આવ્યું હતું. વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા ધર્મેશભાઈ પોતાની કાર લઈને વડોદરાથી સુરત આવી રહ્યા હતા ત્યારે આઇસર ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથા અ્ને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેના લીધે તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં સમગ્ર મામલો અસક્માત વળતર ધારા હેઠળ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં મરનાર 48 વર્ષના હતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી દર મહિને 83 હજાર કમાતા હતા. આથી વારસદારોએ 1.30 કરોડનુ વળતર માગ્યું હતું. આવક, તબિયત અને રોકાણ બધુ જ જોવામાં આવેઅકસ્માત વળતરના કેસમાં મરનાર કે અકસ્માતમા ખોડખાપણના કેસમાં આવક-રોકાણ અને ભવિષ્યની આવક બધુ જ જોવામા આવતુ હોય છે અને ગણતરીના આધારે વળતર નક્કી કરવામા આવે છે. ઉપરાંત મરનાર પાછળ કોને-કોને છોડી ગયા છે તે પણ જોવામા આવે છે. આ સાથે લોસ ઓફ એસ્ટેટ,લોસ ઓફ કોન્સોટીઅમ, લોસ ઓફ લવ એન્ડ અફેક્શન વગેરેના આધારે વળતર નક્કી થાય છે. > નિમેશ દલાલ, એડવોકેટ બાઇક ચોરીની ફરિયાદ મોડી થતાં અરજી નામંજૂર કરાઈનાનપુરાના યુવકની બાઇક ચોરી થઈ જવાના કેસમાં વીમા કંપનીને સાત દિવસ મોડે જાણ કરવામાં આવતા રુપિયા 48 હજારની વળતરની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહ દ્વારા દલીલો કરવામા આવી હતી. બાઇક ચોરી થતા બિજા દિવસે પોલીસ ફરિયાદ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:23 am

વેધર રિપોર્ટ:શહેરમાં ફુલગુલાબી ઠંડી, લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સુધી નોંધાયું

દક્ષિણ ગુજરાતમાં હવે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. કેટલાક દિવસોથી સુરત વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ પલટાને કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ઘટીને 15.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. નોંધનીય છે કે પાછલા દિવસની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં થઈ રહેલા આ સતત ઘટાડાને કારણે રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા વધી રહી છે. પવનની ગતિ અને દિશા શહેરમાં અત્યારે ઉત્તર દિશા તરફથી અંદાજે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. હિમાલય અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ત્યાંથી આવતા ઠંડા પવનો સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:21 am

ભાસ્કર એક્સક્લુસિવ:રિટર્નમાં ગોટાળાની શંકા વચ્ચે જેમને ઇ-મેલ કરાયા, તેઓના ઇ-મેલ જ અપડેટ ન થયા, હવે 90% પેનલ્ટી

આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ અનેક કરદાતાઓને મેસેજ અને ઇ-મેલ મારફત રિટર્ન અપડેટ કરવાની સૂચના આપી હતી. પરંતુ ઘણા કરદાતા એવા છે જેઓને ઇ-મેલ મળ્યા નહતા. કેમકે તેઓએ રિટર્ન ભરતી વખતે પોતાના નવા ઇ-મેલ અપડેટ કરાવ્યા ન હતા. જ્યારે આઇટીનું ન્યૂઝ.2 કેમ્પેઇન ચાલી રહ્યું હતું અને આ કેમ્પેઇનના પહેલા ચરણમાં જ્યારે મેસેજ કે ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા ત્યારે 61 ટકા લોકોએ જવાબ આપ્યા હતા જ્યારે 39 ટકા લોકોએ કોઈ જવાબ જ આપ્યા ન હતા. હવે જે લોકોને ઇ-મેલ મળ્યા નથી તેઓને પર 30 ટકાથી લઈને 90 ટકા સુધીની પેનલ્ટીની તલવાર લટકી રહી છે. સી.એ. ધર્મેશ શાહ કહે છે કે જે કેસમાં મેસેજ કે ઇ-મેલ આવ્યા છે તેવા ઘણા કેસોમાં તો કરદાતાની કોઈ ભૂલ નથી, રિટર્ન યોગ્ય જ ભરાયુ છે પરંતુ છતાં એઆઇએસ ચકાસી લેવામાં આવ્યું છે અને નાની-મોટી ભૂલ હોય તો ફરી રિટર્ન ભરી દેવાયું છે. કમિશનથી દાન આપનારા અને લેનારાઓને શોધાયાઆઇટી વિભાગે ત્રણ તબક્કામાં દાન લેનારા અને આપનારાઓને ત્યાં તપાસ કરીને અનેક ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે અને તેના આધારે એવી પોલિટિકલ પાર્ટીઓની યાદી પણ તૈયાર કરી છે જે કમિશન લે છે. રીટર્નમાં મિલકતો દર્શાવી ન હોય તો બેનામી ઘોષિત થશેઅધિકારી સૂત્રો કહે છે જો વિદેશમાં કે દેશમાં મિલકત ખરીદી હોય અને તેને રિટર્નમાં ન બતાવે અને પાછળથી તપાસ થયા અને કરદાતા જો પુરાવા ન આપી શકે તો આવી મિલકતો પણ બેનામી પુરાવાર થઈ શકે છે. ઇ-મેલ અપડેટ નહીં કરનાર નુકસાનમાંઇ-મેલ બદલાયું હોય તો તે અપડેટ જરૂરી છે નહીં તો નોટિસની બજવણી એક રીતે લીગલ જ કહેવાશે. હાલ જે કેસમાં ઇ-મેલ આવ્યા છે તેમાં જો ઇ-મેલ અપડેટ ન કરાતા જૂના જ એડ્રેસ પર ઇ-મેલ ગયો હયો તો કરદાતાએ પેનલ્ટીની માર સહન કરવી પડશે. > રમેશ ગોયેલ, સી.એ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:21 am

ભાસ્કર એક્સક્લુસિવ:15 મીટર સુધીના બાંધકામનો પ્લાન મંજૂર કરાવવો હશે તો અરજી ઓનલાઇન કરવી પડશે, હાર્ડકોપીની કોઈ જરૂર નહીં

રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે પારદર્શિતા લાવવા પ્લાન મંજૂરી ઝડપી કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા (ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આદેશ મુજબ, હવેથી 15 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા બાંધકામો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સત્તામંડળો આર્કિટેક્ટ કે ડેવલપર્સ પાસેથી દસ્તાવેજોની હાર્ડ કોપી (ફિઝિકલ ફાઈલ) માંગી શકશે નહીં. 1લી જાન્યુઆરી, 2026થી આ આદેશનો ચૂસ્તપણે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મહત્ત્વના આદેશમાં લો અને મીડિયમ રિસ્ક ધરાવતા બાંધકામોમાં હવે થી ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન’ની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેની જવાબદારી જે-તે મહાપાલિકાઓ, સત્તામંડળે 1લી જાન્યુઆરીથી નિભાવવાની ફરજિયાત કરાઈ છે. સુરત સહિત રાજ્યની તમામ પાલિકાઓએ ફરજિયાત ઓનલાઇન પ્રક્રિયા જ કરવી પડશેસરકારે વર્ષ 2017માં પ્લાન મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ODPS (Online Development Permission System) દાખલ કરી હતી. તેમ છતાં, ઓનલાઇન પ્લાન સહિતના દસ્તાવેજો અપલોડ કરાયા બાદ પણ મંજૂરી માટે ઓફલાઇન પણ મહાપાલિકાના ઝોન, મધ્યસ્થ શહેરવિકાસ ખાતા દ્વારા ફરીથી હાર્ડ કોપી મંગાવી આખી પ્રક્રિયા ફરી કરતાં પ્લાન મંજૂરીમાં બિનજરૂરી વિલંબ થતો હોવાથી આર્કિટેક્ટો-એન્જિનિયરોની મુશ્કેલીઓ વધતી હતી. આ સંદર્ભે સુરત સહિતની મહાનગરપાલિકાઓ માંથી ફરિયાદો પણ ઉઠી હતી. બાંધકામ પ્રોજેક્ટો ઝડપી કરવા નવા આદેશની મુખ્ય બાબતો

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:19 am

સિટી એન્કર:અનોખું સ્નેહમિલન : યુવાઓને આકર્ષાયા, બિઝનેસ પણ વધાર્યો, લેઉઆ પટેલ દેસાઈ પરિવારે 3 વર્ષમાં રૂ. 41 કરોડનો બિઝનેસ કર્યો

લેઉઆ પટેલ દેસાઈ પરિવાર દ્વારા મોટા વરાછા અક્ષરવાડી ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.અજય દેસાઈએ જણાવ્યું હતું કે સામાજિક કાર્યક્રમોમાં યુવા વર્ગ ખૂબ જ ઓછો રસ ધરાવે છે. અમને વડીલોએ સુકાન સોપતાં અમે અપનાવેલા અભિગમથી પરિવારને ખૂબ જ મોટો ફાયદો થયો છે. પરિવારના નાના નાના બિઝનેસ મેનોને પ્લેટફોર્મ મળે તે માટે એક્સપોનું આયોજન કરીએ છીએ. ધંધા સાથે જોડાયેલા લોકોને પ્લેટફોર્મ મળતા 3 વર્ષમાં 41 કરોડથી વધારે બિઝનેસ થયો છે. મિટિંગમાં 3 બાબતો સમજાવવામાં આવી1. કોઈપણ વિવાદ થાય ત્યારે 30 મિનિટ સુધી રિએક્શન આપવું નહીં.2. પરિવારના દરેક સભ્યની વાત ધ્યાનથી સાંભળો.3. દરેક વાત પર થોડું ઊંડું ચિંતન-મનન કરીને પછી જવાબ આપો તેનાથી પરિવારમાં ખૂબ જ ઊંડાણપૂર્વક અસર પડી અને ઘણા પરિવર્તનો મળતા સંયુક્ત કુટુંબો જળવાઈ રહ્યા છે. 16 પરિવારોએ પ્રેરણા લઈને બિઝનેસમાં સફળતા મેળવી છે16 પરિવારોએ પ્રેરણા લઈને બિઝનેસમાં સફળતા મેળવી છે. માત્ર આર્થિક બાબતો જ નહીં પરંતુ સામાજિક રીતે દરેક પરિવારમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેના નિરાકરણ માટે દેસાઈ હ્યુમન ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા 6 પરિવારો માં નાની મોટી ગેરસમજના કારણે વાદવિવાદો એટલી હદે વધી ગયા હતા કે છૂટા પડવાની નોબત આવી હતી પરંતુ પરિવારની હ્યુમન ક્લબના માધ્યમથી ટકી ગયા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:17 am

26 પદાધિકારી બરતરફ કરાયા:શિવસેના ઠાકરે જૂથનો બળવાખોરોને ફટકો

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની સમયમર્યાદામાં પણ પીછેહઠ ન કરીને, સત્તાવાર ઉમેદવારોને પડકાર ફેંકનારા બળવાખોર નેતાઓને 'માતોશ્રી'એ ઘરનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વારંવારના આદેશો અને અલ્ટિમેટમનો અનાદર કરનારા 26 મુખ્ય પદાધિકારીઓને હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. હાંકી કાઢવામાં આવેલામાં અનિલ પરબના નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. ઠાકરે જૂથે આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. આ કાર્યવાહીમાં, વોર્ડ નંબર 95 ના શેખર વાયંગણ્કરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ પરબના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેમણે બાંદરા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાર્ટી સંગઠનમાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવાના તેમના નિર્ણયને કારણે તેમની સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલા 'એબી ફોર્મ' ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ પાછી ખેંચી ન લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર જૂથ)ની યુતિમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. યુતિને બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું કારણ કે સાથી પક્ષોને ફાળવવામાં આવેલી બેઠકોમાં પણ બળવાખોરો થયા હતા. એક જ પક્ષના બે ઉમેદવાર મેદાનમાં હોય અને ભાજપ અથવા શિંદે જૂથ તેનો સીધો ફાયદો ઉઠાવી શકે તો મત વિભાજનનું નુકસાન ટાળવા માટે બળવાખોરોને હાંકી કાઢવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને સંદેશ આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી કે પક્ષથી કોઈ મોટું નથી. પક્ષ મોટા નેતાઓ સામે કાર્યવાહી કરીને અન્ય પદાધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી અન્ય પદાધિકારીઓ આવી કૃત્યો કરવાની હિંમત ન કરે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:12 am

અમિત સાટમ દ્વારા સનસનાટીભર્યો આરોપ:જો ઉદ્ધવ ઠાકરે મેયર બનશે તો મુંબઈ પાકિસ્તાન બની જશે

ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ ૧૯૯૭ થી ૨૦૨૨ સુધીનાં ૨૫ વર્ષ દરમિયાન મુંબઈ મહાપાલિકામાં દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. દેશમાં અત્યાર સુધી થયેલા 2જી, કોલસા કૌભાંડ કે કોમનવેલ્થ જેવા મોટા કૌભાંડોની સંખ્યા ૧ લાખ ૭૬ હજાર કરોડ રૂપિયાથી વધુ નથી, પરંતુ ઠાકરેએ મુંબઈ મહાપાલિકામાં જ ૩ લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. જો મેયર ચૂંટવામાં ઠાકરે સફળ થાય તો મુંબઈ પાકિસ્તાન બની જશે.મુંબઈ શહેર અને મહાપાલિકાની દ્રષ્ટિથી સૌથી મોટો મુદ્દો રસ્તાનો છે. મુંબઈ શહેર તેના રસ્તાઓ માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. શહેરના રસ્તાઓ કેવા છે તેના આધારે આપણે સંબંધિત શહેર વિશે આપણો અભિપ્રાય વ્યક્ત કરીએ છીએ, પરંતુ, અમે ઘણાં વર્ષોથી આ ચર્ચા સાંભળી રહ્યા છીએ, મુંબઈ શહેરના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે, એમ સાટમે જણાવ્યું.મુંબઈના રસ્તાઓની ખરાબ સ્થિતિ તરફ ધ્યાન દોરતાં, સાટમે માહિતી અધિકાર (આરટીઆઈ) દ્વારા મેળવેલી માહિતીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં જ મહાપાલિકાએ મુંબઈના રસ્તાઓ પર 21,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આટલી મોટી રકમ ખર્ચવા છતાં, મુંબઈના રસ્તાઓની હાલત દયનીય છે, અને રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે તે સ્પષ્ટ નથી. તેમણે સીધો આરોપ લગાવ્યો કે આ પરિસ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. અમિત સાટમે કહ્યું કે શિક્ષણ કૌભાંડ, પાણી યોજના રદ કરવાનું કૌભાંડ, કચરો કૌભાંડ અને જાહેરાત આવકમાં ભ્રષ્ટાચાર, મુંબઈના 1700 બાર અને રેસ્ટોરાંમાંથી ખંડણી વસૂલી તેમને નામે બોલાય છે. મહાલક્ષ્મી કોવિડ સેન્ટર બિલ્ડરના ફાયદા માટે બનાવવામાં આવ્યું હતું અને બોડી બેગ અને પીપીઈ કિટની ખરીદીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. અમિત સાટમે દાવો કર્યો હતો કે સ્થાયી સમિતિ ઉદ્ધવ ઠાકરેના માણસો દ્વારા 'રિમોટ કંટ્રોલ'થી ચલાવવામાં આવતી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:11 am

નેતાનો આરોપ:ખુદ પોલીસ અમારા ઉમેદવારને શિંદેના બંગલા પર લઈ ગઈ

મહાપાલિકાની ચૂંટણીઓ આડે થોડા દિવસો બાકી છે અને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી બાજુ સામદામદંડ ભેદ નીતિ અપનાવવામાં પણ કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. મનસે નેતાએ આરોપો કર્યો છે કે મહાયુતિએ બળ અને નાણાકીય લાલચનો ઉપયોગ કરીને વિપક્ષી ઉમેદવારોને અરજીઓ પાછી ખેંચવા માટે દબાણ કર્યું છે, જેથી અમુક બેઠકો પર ચૂંટણીઓ બિનહરીફ થઈ હતી. મનસે નેતા અવિનાશ જાધવે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતાં જણાવ્યું કે થાણે મહાપાલિકાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને તેમની અરજીઓ પાછી ખેંચવા દબાણ કરાયું હતું. અવિનાશ જાધવે એક પોલીસ અધિકારીનો વિડિયો બતાવ્યો છે જેમાં એક મનસે ઉમેદવારને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના થાણે નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યો છે. જાધવે એમ પણ કહ્યું છે કે ઉમેદવાર શિંદેના ઘરે ગયા પછી પોતાની અરજી પાછી ખેંચી લે છે. આ ઉમેદવારનું નામ વિક્રાંત ઘાગ છે અને હવે આ ઉમેદવારનો મોબાઇલ પણ બંધ છે, એમ જાધવે માહિતી આપી. અવિનાશ જાધવે કહ્યું, આ તે દિવસનો વીડિયો છે જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા. અમને આ વિડિયો ત્યાં હાજર પત્રકારો દ્વારા મળ્યો છે, અમે ત્યાં કેટલાક કેમેરા લગાવ્યા હતા. અમે હજુ સુધી ઉમેદવારને મળ્યા નથી, તે પોતાનો ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો છે. જો કોઈ પોલીસ જ ઉમેદવારને શિંદે પાસે લઈ જાય તો તેને ધમકી આપવામાં આવી જ હશે. જાધવે ચેતવણી આપી છે કે જેમણે શિવસેના મનસે પાર્ટી સાથે દગો કર્યો છે તેમની સાથે અમારી સ્ટાઈલમાં વર્તન કરવામાં આવશે. શિવસેના ઠાકરે જૂથના નેતા રાજન વિચારેએ પણ આ બાબતે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 68 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના 44 અને શિંદે જૂથના 22 ઉમેદવારનો સમાવેશ થાય છે. બિનહરીફ ચૂંટાવા માટે આ નવો ફંડા શરૂ કરવામાં આવ્યો છે. મશીનમાં ખામી અને મતચોરી પછી, હવે ચૂંટણી પહેલાં જ પૈસા આપીને, ધમકી આપીને અને પોલીસનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનું કારસ્થાન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:10 am

ઠાકરેનું નિવેદન:રાજ્યમાં ટોળાશાહી ચાલી રહી છે, લોકશાહીનો અંત આવ્યો છે: ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ચૂંટણીઓ બિનહરીફ કરાવવાની સત્તાધારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે, બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, એમ ઉદ્ધવે જણાવ્યું હતું. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં રવિવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં મુંબઈવાસીઓ માટે વચનનામું જાહેર કર્યું હતું. તે સમયે તેઓ બોલી રહ્યા હતા.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં ટોળાશાહી ચાલી રહી છે, લોકશાહી હવે ખતમ થઈ ગઈ છે. વોટ- હેરાફેરી પછી, ઉમેદવારો ભગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, ચૂંટણીઓ બિનહરીફ થઈ રહી છે. રાહુલ નાર્વેકર ધમકીઓ આપી રહ્યા છે. ચૂંટણી પંચે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને તેમને પદ પરથી સસ્પેન્ડ કરવા જોઈએ, એવી માગણી ઠાકરેએ કરી છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે. તેઓ ધારાસભ્ય જેવું વર્તન નહીં કરી શકે. બિનહરીફ ઉમેદવારો બળજબરીથી ચૂંટાઈ રહ્યા છે, તેમણે તે સ્થાનના મતદારોને મતદાનથી વંચિત રાખ્યા છે. તેથી, જ્યાં બિનહરીફ ચૂંટણીઓ યોજાઈ છે, ત્યાં ફરીથી ચૂંટણીઓ થવી જોઈએ. વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ પક્ષના પ્રચાર કે સમર્થન માટે જઈ નહીં શકે, પરંતુ નાર્વેકરે વિરોધી પક્ષના નેતાની સુરક્ષા પાછી ખેંચવાનો જે પણ આદેશ આપ્યો છે, તે તેમના અધિકારની બહાર છે. અમે મહાપાલિકાના ભંડોળમાંથી કોસ્ટલ રોડ બનાવ્યો છે અને તે પણ ટોલ ફ્રી છે. મહાપાલિકાની તિજોરીમાં અમે 92 હજાર કરોડ સુધી જમા કરાવ્યા. વિકાસકાર્યો સાથે અમે આ કર્યું છે. નીતિન ગડકરીનો મુંબઈ-ગોવા હાઇવે હજુ પણ બની રહ્યો છે. મહાયુતિએ લગભગ 3 લાખ કરોડનું કૌભાંડ કર્યું છે. મને આ વિશે ખબર પડી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:08 am

સિટી એન્કર:પવાર સહિત 7 સાંસદ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી મોટી ઉથલપાથલ

આગામી વર્ષમાં રાજ્યસભાના રાજકારણમાં મોટા ઊથલપાથલના સંકેતો છે અને 2026નું વર્ષ સંસદીય રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. મહારાષ્ટ્ર અને દેશભરના ઘણા દિગ્ગજ નેતાઓનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને કુલ 71 સાંસદો નિવૃત્ત થવાના છે. આમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સહિત મહારાષ્ટ્રના સાત સાંસદોનો સમાવેશ થાય છે. બીજી તરફ, આ વર્ષે મહત્તમ 30 ભાજપના સાંસદો રાજ્યસભા છોડી રહ્યા હોવાથી, આ ચૂંટણી શાસક અને વિપક્ષી પક્ષો માટે પ્રતિષ્ઠિત રહેશે.2026 માં, દેશના પાંચ રાજ્યોમાં માત્ર રાજ્યસભાની ચૂંટણીઓ જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે, તેથી રાજકીય ગતિવિધિઓ વેગ પકડવા જઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્યસભાની બેઠકોની ગણતરી અને નવા ઉમેદવારોની તપાસ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે, રાજ્યસભામાં કુલ 71 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને 1 માર્ચમાં નિવૃત્ત થશે, જેમાં મહત્તમ 37 એપ્રિલમાં, 22 જૂનમાં અને 11 નવેમ્બરમાં નિવૃત્ત થશે. એવી અપેક્ષા છે કે આ નિવૃત્તિઓ સંસદના ઉપલા ગૃહમાં રાજકીય સંતુલન પર મોટી અસર કરશે.રાજ્યસભાની કુલ 245 બેઠકોમાંથી, એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 દરમિયાન 73 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હોવાથી, પક્ષોની આંતરિક વ્યૂહરચના, જોડાણો અને સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કાર્યકાળ 25 જૂન, 2026 ના રોજ સમાપ્ત થશે અને નિવૃત્ત થનારા નેતાઓમાં તેમને સૌથી મોટું નામ માનવામાં આવે છે. તેવી જ રીતે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડા પણ આ સમયગાળા દરમિયાન રાજ્યસભાને વિદાય આપશે. મહારાષ્ટ્રના રાજકારણ પર નજર કરીએ તો, રાજ્યના સાત રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 2 એપ્રિલ, 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ ચંદ્ર પવારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમની સાથે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલે, ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડ અને સાંસદ ધૈર્યશીલ મોહન પાટીલ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના રજની પાટિલ અને એનસીપી શરદ પવાર જૂથના ડૉ. ફૌઝિયા ખાનનો કાર્યકાળ પણ તે જ દિવસે સમાપ્ત થશે. તેથી, સૌનું ધ્યાન મહારાષ્ટ્રમાંથી નવા ચહેરાઓને તક મળશે કે જૂના ચહેરાઓને ફરીથી નોમિનેશન આપવામાં આવશે તેના પર છે. રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા: ઉત્તર પ્રદેશના ઘણા મહત્ત્વપૂર્ણ નામો પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને બી. એલ. વર્માનો કાર્યકાળ 25 નવેમ્બર, 2026 ના રોજ સમાપ્ત થશે. આ જ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના વધુ આઠ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થશે, તેથી દેશના સૌથી મોટા રાજ્યમાં રાજકીય સમીકરણ બદલાવાની શક્યતા છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનનો કાર્યકાળ પણ આવતા વર્ષે સમાપ્ત થશે. આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો પણ સમાવેશ થાય છે અને તેમની નિવૃત્તિ કોંગ્રેસની રાજ્યસભાની રણનીતિને અસર કરી શકે છે. કયા નિવૃત્ત સૈનિકો વિદાય લેશે?રાષ્ટ્રપતિ પદના નોમિનેશન ક્વોટા દ્વારા રાજ્યસભામાં નિયુક્ત થયેલા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026 માં સમાપ્ત થશે. તેથી, ન્યાયતંત્ર, રાજકારણ અને સંસદીય પ્રક્રિયા વચ્ચેના સંબંધો પર નવેસરથી ચર્ચા થવાની શક્યતા છે. એકંદરે, 2026 માં રાજ્યસભાની ચૂંટણીઓ ફક્ત સભ્યોના પરિવર્તન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ કેન્દ્રમાં સત્તા સંતુલન, રાજ્યોમાં રાજકીય સત્તા અને આગામી વિધાનસભા ચૂંટણીઓના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સંસદમાં કયા નવા ચહેરા પ્રવેશ કરશે અને કયા દિગ્ગજો વિદાય લેશે તેના પર સમગ્ર દેશ ધ્યાન આપી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:07 am

RTO એક્શન મોડમાં:વાહન પર એચએસઆરપી પ્લેટ માટે મુદત પૂરી થતા આરટીઓની કાર્યવાહી

હજી પણ વાહનની નંબરપ્લેટ પર ફેન્સી લખાણ હશે અને એચએસઆરપી પ્લેટ નહીં હોય તો આરટીઓ કાર્યવાહી કરશે. મહારાષ્ટ્રમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાડવાની છેલ્લી મુદત 31 ડિસેમ્બર 2025 અધિકૃત રીતે પૂરી થઈ છે. 1 જાન્યુઆરી 2026થી રાજ્યમાં આરટીઓ અને પરિવહન પોલીસે એચએસઆરપી નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કમર કસી છે અને હવે સોરી, ભૂલી ગયો એવું બહાનું નહીં ચાલે. 1 એપ્રિલ 2019 પહેલાં નોંધમી થયેલા તમામ જૂના વાહનો પર એચએસઆરપી નંબરપ્લેટ લગાડવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. સરકારે અનેક વખત મુદતવધારો આપવા છતાં લાખો વાહનધારકોએ એના પર દુર્લક્ષ કર્યું. જો કે હવે સરકારનું વેઈટ એન્ડ વોચ ધોરણ ખતમ થયું છે. જેમણે 31 ડિસેમ્બર સુધી એપોઈંટમેન્ટ લીધી નથી તેમના માટે નવા વર્ષની શરૂઆત દંડથી થઈ શકે છે. એચએસઆરપી નંબરપ્લેટ વિના વાહન સાથે પહેલી વખત પકડાયા તો એક હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરતા બીજી વખત પકડાયા તો 5000થી 10 હજાર રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એટલે જે વાહન પર એચએસઆરપી નંબરપ્લેટ નહીં હોય તેઓ આરટીઓના મહત્વના કામ (ઉદાહરણ તરીકે માલિકી હસ્તાંતરણ, પાસિંગ અથવા ફિટનેસ પ્રમાણપત્ર) કરી શકશે નહીં. ડેડલાઈન પૂરી થઈ છે છતાં ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે તરત મહારાષ્ટ્ર પરિવહન વિભાગના અધિકૃત પોર્ટલ પર જવું. પોતાના વાહનની વિગત ભરીને ઓનલાઈન ફી ભરો અને ફિટમેંટ માટે એપોઈંટમેન્ટ બુક કરવી. જો તમારી પાસે અધિકૃત એપોઈંટમેન્ટની રસીદ હશે તો પોલીસ તમારા પર કાર્યવાહી નહીં કરે. છતાં હવે આળસ કરશો તો મોંઘુ પડશે. દરમિયાન આ નંબરપ્લેટ ફક્ત ફેન્સી નથી પણ તમારા વાહનની સુરક્ષા માટે છે. એમાં રહેલાં લેઝર કોડના લીધે તમારું વાહન ચોરી થશે તો એને શોધવું સહેલુ થશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:03 am

IPL:મુસ્તાફિઝુરને પડતો મુકવાના નિર્ણય પછી ધમકી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ રવિવારે દાવો કર્યો કે 2026ની આઈપીએલની ટીમમાંથી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્થાફિઝુર રહમાનને પડતા મૂકવા માટે કોલકતા નાઈટ રાઈડર્સને નિર્દેશ આપવાના બીસીસીઆઈના નિર્ણયને વધાવી લેતાં તેને જાનથી ખતમ કરવાની ધમકી મળી રહી છે. દુબેને શનિવારે અજ્ઞાત વ્યક્તિ પાસેથી વ્હોટ્સએપ નંબર અને ફોન કોલ પર ધમકીભર્યા મેસેજીસ પ્રાપ્ત થયા છે, એમ કાંદિવલી સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 (શાંતિભંગ કરવા માટે હેતુપૂર્વક અપમાન) અને 351 (4) (ફોજદારી ધાકધમકી) હેઠળ અદખલપાત્ર ગુનો (એનસી) દાખલ કરવામાં આવી છે અને આરોપીનું પગેરું મેળવવા અને અટકાયતમાં લેવા માટે પ્રયાસ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું. સોશિયલ મિડિયા પર વિગતવાર પોસ્ટ શૅર કરતાં દુબેએ દાવો કર્યો કે બીસીસીઆઈના પગલાને ઉત્તમ નિર્ણય ગણાવવા માટે તેને ગાળાગાળી કરાઈ અને ધાકધમકી આપવામાં આવી હતી. આ મુદ્દો અત્યંત ગંભીર છે. આથી પોલીસ અને રાજ્ય સરકારે તેને ગંભીરતાથી લેવું જોઈએ, એમ ઠાકરે સેનાના નેતાએ જણાવ્યું હતું. કોલકતા નાઈટ રાઈડર્સે રહમાનને છૂટો કર્યો છે. આઈપીએલની લિલામીમાં રહમાનની સેવાઓ માટે તેને રૂ. 9.2 કરોડમાં ખરીદી કરવાં આવ્યો હતો. જોકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધવાને લીધે બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) દ્વારા તેને પડતો મૂકવાના નિર્દેશ અભિનેતા શાહરુખ ખાનની ટીમ કેકેઆરને અપાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:02 am

23.29 કરોડ શિર્ડી સંસ્થાનની તિજોરીમાં આવ્યા:શિર્ડીમાં સાઈબાબાના ચરણે નવા વર્ષ નિમિત્તે ભાવિકોનું વિક્રમજનક દાન

નાતાલની રજા, વિતેલા વર્ષને વિદાય અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડીમાં આયોજિત કરવામાં આવેલા શિર્ડી મહોત્સવમાં સાઈભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 25 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026ના નવ દિવસના સમયગાળામાં દેશવિદેશથી લગભગ 8 લાખ કરતા વધુ ભાવિકોએ સાઈબાબાની સમાધીના દર્શન કર્યા હતા. આ સમયમાં ભાવિકોએ શ્રદ્ધાથી 23 કરોડ 29 લાખ 373 રૂપિયા જેટલું વિક્રમજનક દાન સાઈ સંસ્થાનની ઝોળીમાં અર્પણ કર્યું એવી માહિતી સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે આપી હતી. મહોત્સવના સમયમાં ભાવિકોએ વિવિધ માધ્યમથી દાન અર્પણ કર્યું. દાનપેટીમાંથી 6 કરોડ 2 લાખ 61 હજાર 6 રૂપિયા, દાન કાઉન્ટર પર 3 કરોડ 22 લાખ 43 હજાર 388 રૂપિયા તો પીઆરઓ પાસની ફી દ્વારા 2 કરોડ 42 લાખ 60 હજાર રૂપિયા સંસ્થાનને મળ્યા. બદલાતી ટેકનોલોજી સાથે ભાવિકોએ ડિજિટલ દાન પણ કર્યું. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન દાન, ચેક અને મની ઓર્ડર દ્વારા 10 કરોડ 18 લાખ 86 હજાર 955 રૂપિયા જમા થયા છે. દાનનો ઉપયોગ લોકકલ્યાણ માટેસાઈ સંસ્થાનને મળતા આ દાનનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરવામાં આવતો હોવાનું મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે સ્પષ્ટ કર્યું. સાઈબાબા હોસ્પિટલ અને સાઈનાથ હોસ્પિટલમાં તબીબી સારવાર, મફત ભોજન વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાનું સંચાલન અને વિવિધ સામાજિક તથા લોકહિતના ઉપક્રમ માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. મહોત્સવના સમયમાં તમામ વિભાગના કર્મચારી, સ્વયંસેવક અને સુરક્ષા રક્ષકોએ ભાવિકોને સરળતાથી અને સુરક્ષિતતાથી દર્શન મળે એ માટે સખત પરિશ્રમ કર્યાનું તેમણે જણાવ્યું હતું. 6 લાખથી વધુએ ભોજન કર્યુંભાવિકોની ગિરદી ધ્યાનમાં લઈને સાઈ સંસ્થાન તરફથી દર્શન વ્યવસ્થાનું ચોકસાઈવાળું નિયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે જ અન્નદાનની પરંપરા પણ મોટા પ્રમાણમાં અમલમાં મૂકવામાં આવી. આ નવ દિવસમાં 6 લાખ કરતા વધારે ભાવિકોએ સાઈ પ્રસાદાલયમાં મફત ભોજનનો લાભ લીધો. તેમ જ 1 લાખ 9 હજાર ભાવિકોને અન્નપેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ જ સમયમાં 7 લાખ 67 હજાર લાડુ પેકેટના વેચાણથી 2.30 કરોડ રૂપિયા સંસ્થાનને મળ્યા તો 5 લાખ 76 હજાર ભાવિકોને બુંદીના પ્રસાદનું મફત વિતરણ કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:01 am

સાહેબ મિટિંગમાં છે:શમશેરસિંહની ગુજરાત વાપસી 'આવોને બેસો' કે પછી 'આવોને જોઈ લો', પ્રદેશ ભાજપ સંગઠનમાં પત્તા કપાતા હવે શહેર-જિલ્લામાં સ્થાન મેળવવા નેતાઓની દોડધામ

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... શમશેરસિંહની વાપસી: “આવો ને બેસો” કે “આવો ને જોઈ લો”?કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ DGP બનાવ્યાને હજી 48 કલાક પણ નહોતા થયા ત્યાં દિલ્હી ડેપ્યુટેશન પરથી શમશેરસિંહની વાપસી. જાણે ક્રિકેટમાં નેટ પ્રેક્ટિસ ચાલતી હોય અને અચાનક સિનિયર ખેલાડી પેડ પહેરીને મેદાનમાં ઉતરી આવે. કેટલાક બોલ્યા – “હવે તો નવા સમીકરણ બનશે.” કેટલાકે કહ્યું – “અરે ભાઈ, આ તો રૂટીન છે.” પણ ગુજરાતમાં રૂટીન શબ્દ પણ ઘણી વખત રહસ્ય જેવો જ લાગે. નિવૃત્તિ પહેલાં DGP તરીકે પરત આવવાની ઇચ્છા, નિયમોની 6 મહિનાની દીવાલ અને ત્રણ મહિનાનો સમય… બધું ગણિતમાં તો બંધબેસતું નથી, પણ અહીં ગણિત કરતાં રાજકીય અલ્જેબ્રા વધારે ચાલે છે. એટલે જ લોકો હજુ પણ કહી રહ્યા છે – “કઈ નવાઈ નહીં, કાલે ફરી કોઈ ટ્વિસ્ટ આવે.” છ નહીં, સાત નહીં… સીધા આઠ DG!“ઘરમાં મહેમાન વધે તો રસોઈ મુશ્કેલ, અને પોલીસમાં DG વધે તો પોસ્ટિંગ મુશ્કેલ.” ગુજરાત પોલીસમાં હવે DGની સંખ્યા આઠ. પહેલાં છ, પછી સાત અને હવે શમશેરસિંહની વાપસી સાથે આઠ. વર્ષો પહેલાં 1985 બેચ વખતે સાત DG હતા, પણ આઠ? એવું તો પહેલીવાર. મુખ્ય DGP એક, બાકી બધા DG – એટલે ભાષામાં કહીએ તો “સિંહ એક, પણ ગર્જના ઘણી.” 14 DIG અને પોસ્ટિંગ ઝીરોપ્રમોશન મળી ગયું, ફૂલોની માળા પણ પહેરાઈ ગઈ, પણ પોસ્ટિંગ? DIG બનીને પણ ઘણા અધિકારીઓ ઘેર બેઠા છે. કુલ 14 DIG “વેઇટિંગ ફોર પોસ્ટિંગ”. એક અધિકારીએ તો મજાકમાં કહ્યું – “પ્રમોશન તો મળ્યું, હવે બદલી ભગવાન ભરોસે.” બદલીના ઓર્ડર ‘આવે છે, આવે છે’ કહીને તારીખ પર તારીખ. જાણે સરકારી કૅલેન્ડરમાં Tomorrow નામનો દિવસ જ સૌથી લાંબો હોય! ફાઈલ પર સહી કરતા કલેક્ટરોની કલમ કંપે છેસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મોટા જિલ્લાના કલેક્ટર સામે ઇન્કવાયરીની ચર્ચા. સત્તાવાર કોઈ બોલતું નથી, પણ સચિવાલયની દિવાલો ઘણું સાંભળી લે છે. “એક પર એક્શન થાય તો બીજા સીધા થઈ જાય” – આ કહેવત અહીં સાચી પડી રહી છે. ED અને ACBની એન્ટ્રી પછી જિલ્લાઓમાં કલેક્ટરો હવે ફાઈલ પર સહી કરતાં પણ બે વાર વાંચે છે. મંત્રીઓ, PA-PS અને નવી ખુરશીઓકેટલાક નવા મંત્રીઓને જુના મંત્રીઓના PA-PS પસંદ નથી. એટલે ઓળખીતાને ગોઠવવાની દોડ. એક PAએ તો ચેમ્બરનો દરવાજો બદલી નાખ્યો, નવી ખુરશી મંગાવી… જાણે સંદેશો હોય – “હું આવ્યો છું, સેટિંગ સાથે.” સોશિયલ મીડિયા,પોસ્ટ અને ડિલીટગાંધીનગરમાં એક મહિલા કાર્યકર્તાની સોશિયલ મીડિયા પોસ્ટે પક્ષમાં ગરમાવો લાવ્યો. આરોપ, પ્રતિઆરોપ અને પછી ઉપરથી ફોન અને પોસ્ટ ડિલીટ. અહીં એક કહેવત યાદ આવે – “લખતા પહેલાં વિચાર, ડિલીટ પછી અફસોસ.” પોસ્ટ ગઈ, પણ વાત રહી ગઈ. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર CTP તરીકે નિવૃત થયેલા અધિકારીને કોન્ટ્રાક્ટ પર લેવાયાગુજરાતના ઈતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યુ હોય તેવી એક ઘટના બની છે. જેમાં સીટીપી એટલે કે ચીફ ટાઉન પ્લાનર તરીકે એક નિવૃત્ત થયેલા અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ પર રખાયા છે. પ્રમોટી આઈએએસ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા હતા. આ પદ ખુબ જ મહત્વનુ અને ટેકનિકલ છે. તેઓ નિવૃત્ત થયાના દિવસે જ તેઓને એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરીને 1લી જાન્યુઆરીથી જ ચીફ ટાઉન પ્લાનર તરીકેની ફરજોમાં ચાલુ રખાયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 31મીએ તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં તેમને વિદાય આપવા માટે પણ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહેલા ચૈતન્ય શાહ, રાજકોટના આગકાંડમાં સંડોવાયેલા સાગઠીયાના સગા ભાઈ, રાજેશ રાવલ પ્રકાશ દત્તા વગેરે હતા. આ બધા લોકો સ્ટેજ પર હતા જ્યારે યુવાન અધિકારીઓ સામે બેઠા હતા. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, ગુજરાતમમાં સૌથી વધુ અર્બનાઈઝેશન થયુ છે. આમ છત્તા આટલી મોટી પોસ્ટ માટે આખા ગુજરાતમાં શું કોઈ લાયકાત વાળો બીજો અધિકારી જ નથી કે નિવૃ્ત્ત થતા બિન ટેકનિકલ અધિકારીને કોન્ટ્રાક્ટબેઝ પર લેવાની ફરજ પડી ? સતત સાત વાઈબ્રન્ટ સમિટમાં કામગીરી કરનારા ACS એસ.જે. હૈદર વયનિવૃત31મી ડીસેમ્બરે એડિશનલ ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર વયનિવૃત્ત થયા છે. તેઓએ છેલ્લા દિવસે મોડે સુધી કામ કર્યુ હતું. રાત્રે સાડા આઠ વાગ્યે તમામ પેન્ડીંગ કામ પતાવીને સ્ટાફને મળ્યા બાદ તેઓ મુખ્યમંત્રી અને મુખ્યસચિવને મળવા ગયા હતા ત્યાર બાદ તેઓ ઘરે ગયા હતા. આ એવા અધિકારી છે કે જેમને 2003માં વાઈબ્રન્ટ શરુ થઈ ત્યારથી કોઈને કોઈ મહત્વની ભુમિકા ભજવી હતી. તેઓએ 2009, 2011,2013,2015,2019માં વાઈબ્રન્ટ સમિટમાં ખુબ જ અગત્યની કામગીરી કરી હતી. છેલ્લે 2024મા મહેસાણામાં યોજાયેલી રીજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં પણ તેઓનુ યોગદાન ખુબ જ મહત્વનુ હતુ. આ સમિટમાં સૌથી વધુ એટલે કે કુલ એમઓયુ પૈકીના 80 ટકા એમઓયુ માત્ર એનર્જી ડીપાર્ટમેન્ટ સાથે થયા હતા. ગત વર્ષે ડીસામાં યોજાયેલા એક મોટા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ એવી કોમેન્ટ કરી હતી કે, આ વખતની વાઈબ્રન્ટનુ આયોજન શાનદાર રહ્યું હતુ. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આવો કાર્યક્રમ નહોતો થઈ શક્યો. મારાથી વધુ સારો કાર્યક્રમ કરાયો છે. હું તેના માટે સીએમની ટીમનો આભાર માનુ છું. જો કે, બુધવારે હૈદર માટે છેલ્લી કેબિનેટ હતી. જેમાં મુખ્યમંત્રીએ પણ તેમની ભારોભાર પ્રસંશા કરી હતી. ઉપરાંત મુખ્યસચિવ સહિતના સિનિયર અધિકારીઓએ પણ તેમને ભાવપૂર્વક વિદાય આપી હતી. બિલાડીને દૂધના રખોપા, ભાજપ સંગઠનની એક એવી નિમણૂક થયા બાદ કાર્યકરોમાં ચર્ચાભાજપના નવા પ્રદેશ પ્રમુખે પોતાની ટીમ બનાવી છે. જેમાં યુવાનોને ખાસ્સુ મહત્વ સાથે સ્થાન અપાયુ છે. જેમાં ભુતકાળમાં ભાજપમાં અને સરકારમાં વર્ચસ્વ ધરાવતા હતા તેવા કેટલાક નેતાઓના જૂથને સાફ કરી નખાયુ છે. ઉપરાંત આ સંગઠન અત્યાર સુધીનુ સૌથી નબળુ સંગઠન હોવાની વાત પણ છે. એક નિમણૂકમાં જૂના ખેલાડીને ફરીથી મેદાનમાં લાવવામાં આવ્યા છે. જેને લઈને ભાજપના નાના મોટા કાર્યકરોમાં ચર્ચા સાથે ગણગણાટ શરૂ થયો છે. કાર્યકરો મઝાક કરી રહ્યા છે કે, આ તો પંચાલ સાહેબે બિલાડને દૂધના રક્ષણની જવાબદારી સોંપી છે. હવે ભવિષ્યમાં શુ થશે એ રામ જાણે. આવી ચર્ચા પાછળનુ કારણ એવુ છે કે, આ નેતાની ઈમેજ એટલી ચોખ્ખી નથી. વહીવટ કરવામાં તેમનુ નામ અવ્વલ છે. જો કે,મોટા નેતાઓની નજીક રહેવામાં માહીર ગણાતા આ નેતા હવે દૂધના રખોપા કરે છે કે પછી દૂધ પોતે પી જાય છે તે જોવાનુ પણ રસપ્રદ બનશે. CMOમાં કોન્ટ્રાક્ટ પર રહેલા ચૈતન્ય શાહે પોતાના વિશ્વાસુને શહેરી ખાતામાં મુકાવી દીધાવયનિવૃત્ત અધિકારી ચૈતન્ય શાહને સીએમઓમાં લઈ જવાયા હતા. જો કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સીએમ પાસે શહેરી વિભાગ રહ્યો નથી. જ્યારે ચૈતન્ય શાહની વહીવટી આવડત અને જ્ઞાન શહેરી વિભાગ પૂરતુ સિમિત છે. હવે તેમની પાસે ખાસ કોઈ કામગીરી રહી નથી. આમ છત્તા મહીને એક લાખનો પગાર અને અન્ય સુવિધા મેળવી રહ્યા છે. એટલુ જ નહી સીએમઓના પાવરનો પણ ધૂમ ઉપયોગ કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ પોતાની વગ વાપરીને ટીપીઓ કક્ષાના અધિકારી રાજન મુરબીયાને ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં એસટીપીનો ચાર્જ અપાવ્યો હતો. હવે ફરીથી તેમને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયમાં પર્સનલ સેક્રેટરી તરીકે મુકાવવામાં મહ્તવની ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે.આમ આ રીતે તેઓ હવે શહેરી વિકાસ વિભાગની કેટલીક ફાઈલોમાં તેમજ અન્ય કેટલીક કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકે છે. કોના બાપની દિવાળી?, ડિમોલિશન કામગીરી સમયે સાહેબોને બેસવા માટે ખુરશી પાછળ 1 લાખનો ખર્ચ!અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસાનો ખર્ચ કરવામાં ક્યાંય પણ કચાશ બાકી રાખતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓને જૂની ખુરશી નહીં પરંતુ નવી ખુરશીમાં બેસવામાં રસ છે. શહેરના ચંડોળા તળાવના ડિમોલેશન વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓને બેસવા માટે એક લાખ રૂપિયાની ખુરશી ખરીદી હતી. કોર્પોરેશનમાં કામગીરી કરનારી માહિતી એજન્સીને લાભ કરાવવા માટે થઈને ખાલી અધિકારીઓને બેસવા માટે 1 લાખ રૂપિયાની નવી ખુરશી ખરીદી લીધી હતી. ચંડોળા તળાવની કામગીરી ચારથી પાંચ દિવસ માટે ચાલી હતી. સાહેબોને બેસવા માટે જૂની ખુરશીઓ ના જોઈએ પણ નવી ખુરશી મંગાવી લીધી હતી. જેનું બિલ પણ પાસ કરી દેવામાં આવ્યું છે અને એજન્સીને એક લાખ રૂપિયાનો ફાયદો પણ થઈ ગયો છે. પ્રદેશ ભાજપ બાદ હવે શહેર-જિલ્લા ભાજપના નવા સંગઠનની રચનાની તૈયારી ગુજરાત પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે ત્યારે હવે પ્રદેશના શહેર અને જિલ્લાના નવા સંગઠનની જાહેરાત થવાની તૈયારીઓ ચાલી રહી છે. જેની વચ્ચે અમદાવાદના શહેર પ્રમુખ બદલાવવા અંગેની ચર્ચા શરૂ થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક ઊકળતો ચરું જોવા મળી રહ્યો છે. શહેર ભાજપના પ્રમુખ અને કેટલાક નેતા- ધારાસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક નેતાઓ પ્રમુખ સામે પડ્યા હોવા અંગેની ચર્ચા છે તો બીજી તરફ કેટલાક નેતાઓ એવું પણ કહી રહ્યાં છે કે પ્રમુખ માત્ર પોતાની કામગીરી બતાવવા માટે દરેક જગ્યાએ પોતાની વાહવાહી મેળવી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપની આંતરિક જૂથબંધીને લઈ સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાઓ તેજ બની છે. પ્રદેશ સંગઠનનમાં સ્થાન ન મળતા હવે શહેર-જિલ્લામાં સ્થાન મેળવવાના પ્રયાસો શરૂગુજરાત પ્રદેશ ભાજપનું નવું માળખું તૈયાર થઈ ચૂક્યું છે. પ્રદેશ સંગઠનમાં પ્રદેશ પ્રમુખની સાથે ઝભ્ભા પકડીને ચાલનારા નેતાઓની હકાલપટ્ટી થઈ હોય તેમ ક્યાંય મહત્વનું પદ મળ્યું નથી. પરંતુ શહેર અને જિલ્લા સંગઠનોમાં ક્યાંક હજી પણ સ્થાન મળે એવી આશા છે. અમદાવાદ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે ત્રણ મોટા યુવા નેતાઓના નામ ચર્ચામાં છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે પાટીદાર નેતા મૂકવામાં આવી શકે છે જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બે નેતાઓના નામની ચર્ચા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવવા માટે કેટલીક મહિલાઓ પણ સક્રિય થઈ ચૂકી છે. મહામંત્રી તરીકે મહિલા નેતાઓની પણ નિમણૂક થઈ શકે છે જેમાં પૂર્વ મેયરથી લઈને હાલના ચાલુ હોદ્દેદારો પણ ચર્ચામાં છે. મહિલા પ્રમુખ તરીકેના પૂર્વ વિસ્તારની બે મહિલા નેતાઓના નામની ચર્ચા છે. રાજકારણ અને ભ્રષ્ટાચારને લઈ સુરેન્દ્રનગર ચર્ચામાંરાજ્યમાં ઝાલાવાડ તરીકે ઓળખાતા પ્રદેશ એવા સુરેન્દ્રનગર જિલ્લો આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજકારણ અને ભ્રષ્ટાચાર એમ બંને માટે ચર્ચામાં રહ્યો છે જેની પાછળનું કારણ એવું છે કે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની રચના થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે મહત્વના પદ આપવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી અને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું જેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કદ સંગઠનમાં વધ્યું છે. જોકે રાજકરણ સાથે ભ્રષ્ટાચારની પણ ચર્ચા એટલી જોરસોરથી થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો બીન ખેતી કરવા માટે કરોડો રૂપિયાની લાંચના પ્રકરણમાં કલેકટર અને નાયબ મામલતદારની ધરપકડ કરી છે અગાઉના કલેકટરો પણ ગેરરીતિમાં પકડાઈ ચૂક્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગર રાજ્યમાં ચર્ચામાં છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:00 am

જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસે કોર્ટમા કેસ દાખલ કર્યો:મહિલા દર્દીના મૃત્યુના કેસમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ટ્રસ્ટી વિરુદ્ધ કેસ

ગયા વર્ષે એપ્રિલમાં મહિલા દર્દી તનીષાના મૃત્યુ સંબંધમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. તનિષા ભિસે ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના પર્સનલ સેક્રેટરીની પત્ની હતી. તેને ગર્ભવતી હતી. તબિયત બગડતાથી તેને સંબંધીઓ દ્વારા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાંથી તેને રૂ. 10 લાખ ડિપોઝિટ જમા કરાવવા કહ્યું, જે નહીં કરાવાતાં દાખલ કરી લેવાઈ નહોતી. આ પછી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં જોડિયા બાળકીઓને જન્મ આપ્યા પછી તેનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને કારણે પૈસા માટે હોસ્પિટલમાં દાખલ નહીં કરવા બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આથી આ વિવાદ ભારે ચગ્યો હતો, જે પછી સરકાર દ્વારા તપાસ માટે સાસૂન જનરલ હોસ્પિટલ દ્વારા સમિતિ સ્થાપવામાં આવી હતી. આ સમિતિના અહેવાલ પછી દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ડો. સુશ્રૂત ઘૈસાસ વિરુદ્ધ પુણે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ હોસ્પિટલ ધર્માદા હેઠળ આવતી હોવાથી જોઈન્ટ ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં દર્દીને કટોકટીમાં સારવાર આપવાનો ઈનકાર કરવા માટે હોસ્પિટલને જવાબદાર ઠરાવવામાં આવી હતી. આ પછી ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. અમે ચાર કલાક દેખરેખ રાખીઃ હોસ્પિટલદરમિયાન દીનાનાથ મંગેશકર હોસ્પિટલે જણાવ્યું કે અમે શનિવારે ચેરિટી કમિશનર ઓફિસમાંથી કોઈ પણ અહેવાલ પ્રાપ્ત થયો નથી. તનિષા ભિસે પર અમારી હોસ્પિટલમાં ચાર કલાક સુધી દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી તેના પરિવારે ડોક્ટરોને જાણકારી આપ્યા વિના તનિષાને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. આ પછી તનિષાનો પરિવાર તેને હોસ્પિટલમાંથી ખાનગી વાહનમાં લઈ ગયો હતો. અમારી હોસ્પિટલનો ડોક્ટર તેમની પાછળ દોડ્યો હતો, પરંતુ તેઓ રોકાયા નહોતા, એમ દીનાનાથ મંગેશકર હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:59 am

સિટી એન્કર:ભાઈંદરથી પકડવામાં આવેલા માર્ગ ભૂલેલો દીપડો કુદરતી નિવાસમાં મુક્ત

થોડા દિવસ પહેલાં ભાઈંદરથી સુરક્ષિતપણે પકડવામાં આવેલા દીપડાને ફરીથી પોતાના કુદરતી પરિસરમાં છોડવામાં આવ્યો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને થાણે વન વિભાગ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ ભૂલીને માનવ વસતિમાં આવી ચડેલા દીપડાનું ફરીથી સુરક્ષિત પુનર્વસન કરવામાં આવ્યું છે. હવે એના પ્રવાસ માર્ગ પર ધ્યાન રાખવામાં આવશે. વન વિભાગના જણાવ્યા અનુસાર માનવ અને વન્યજીવનું સહઅસ્તિત્વ જાળવવાની દષ્ટિએ આ હકારાત્મક પગલું માનવામાં આવે છે. ભાઈંદર પૂર્વની પારિજાત હાઉસિંગ સોસાયટીમાં ડિસેમ્બર મહિનામાં એક દીપડો પહોચ્યો હતો. એના લીધે થોડો સમય આ પરિસરના નાગરિકોમાં ડરનું વાતાવરણ નિર્માણ થયું હતું. તેમ જ આ દીપડાએ થોડા જણને ગંભીર જખમી કર્યા હતા. નેશનલ પાર્ક અને થાણે વન વિભાગ તથા બચાવ ટીમ તરફથી આ દીપડાને સુરક્ષિતપણે પકડવામાં આવ્યો હતો. એ પછી એને નેશનલ પાર્કમાં તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. તપાસ પછી નિરોગી હોવાનો અહેવાલ આવ્યા બાદ કેદ કરેલા દીપડાને ફરીથી તેના કુદરતી અધિવાસમાં છોડવાની દષ્ટિએ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એના માટે વન્ય અધિકારીઓની સમિતિમાં થયેલી ચર્ચા પછી દીપડાને ફરીથી તેના કુદરતી અધિવાસમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી આ સંપૂર્ણ પ્રક્રિયા નેશનલ પાર્કના વનસંરક્ષક અને સંચાલક અનિતા પાટીલ અને થાણે વન વિભાગના ઉપવનસંરક્ષક સચિન રેપાળના માર્ગદર્શન હેઠળ પાર પડી હતી. પ્રવાસ માર્ગ પર નજરદીપડાને ફરીથી તેના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યો એ પહેલાં એને સેટેલાઈટ કોલર અને માઈક્રોચીપ લગાડવામાં આવી. એ પછી તેને છોડવામાં આવ્યો. જીપીએસ યંત્રણાના લીધે તેના પ્રવાસના માર્ગની નોંધ રાખવામાં આવે છે. એના માટે વન વિભાગના કર્મચારી અને એક સ્વયંસેવી સંસ્થાની સંશોધક ટીમ જીપીએસ અને રેડિયો સિગ્નલના આધારે દીપડાના પ્રવાસમાર્ગ પર નજર રાખી રહી છે. અત્યારે આ દીપડાની જ્યાં અવરજવર છે તેને છોડવામાં આવેલા પરિસરમાં જ છે. એ આ જ પરિસરનો હોવાથી દીપડો તેના કુદરતી અધિવાસમાં ઠરીઠામ થયો હોવાની માહિતી વન વિભાગ તરફથી આપવામાં આવી છે. જીપીએસ સિસ્ટમના લીધે દીપડાને તેના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યા પછી એની હિલચાલ પર નજર રાખવી શક્ય થયું અને એનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય છે. આવી ઉપાયયોજનાને લીધે માનવ અને વન્યજીવનું સહઅસ્તિત્વ જાળવવામાં મદદ થાય છે એમ અનિતા પાટીલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:58 am

વેરા વિભાગના અધિકારીઓ શંકાના દાયરામાં:550 મોબાઇલ ટાવરનો રૂપિયા 50 કરોડથી વધુનો વેરો બાકી, સામાન્ય બાકીદારની મિલકત સીલ કરતી મનપાનું ભેદી મૌન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસૂલાતનો આંક વધારીને રૂ.459 કરોડ કરવામાં આવ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા બાકીદારોની મિલકત સીલિંગ સહિતની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે ત્યારે બીજીબાજુ મનમાની કરતી મોબાઇલ કંપનીઓ દ્વારા શહેરમાં આડેધડ ખડકાતા મોબાઇલ ટાવરનો રૂ.50 કરોડથી વધુનો વેરો હજુ સુધી ભરપાઇ કરવામાં ન આવ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. સામાન્ય બાકીદારોની મિલકત સીલ કરતી મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ મોબાઇલ ટાવરની કંપનીઓ પાસે બાકી લેણાની ઉઘરાણી માટે સીલની કાર્યવાહી કરવાના બદલે ઘૂંટણિયે પડી ગઇ હોય તેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2018થી કાર્પેટ આધારિત મિલકત વેરા લેવાની શરૂઆત કરવામાં ત્યારથી મોબાઇલ કંપનીના વેરાનો ભારાંક વધારીને રૂ.50 કરવામાં આવ્યો હતો. તેની સામે મોબાઇલ કંપનીઓઓ રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરી હતી, પરંતુ સરકારે તેમની માગણી નહીં સ્વીકારતા અંતે ન્યાયાલયનો આશરો લીધો હતો અને અમદાવાદ, સુરત અને વડોદરા જેવી મહાનગરપાલિકા કરતા રાજકોટ મહાનગરપાલિકાનો ભારાંક વધારે હોવાનું જણાવી તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ મોબાઇલ ટાવર કંપનીઓનો ભારાંક રૂ.50 પરથી ઘટાડીને રૂ.15 કરવામાં આવ્યો હતો. આમ છતાં અનેક મોબાઇલ કંપનીઓએ ભારાંક ઘટાડવાની માગણી ચાલુ રાખી મોબાઇલ ટાવરનો વેરો ભરવાનું બંધ કરી દેતા બીએસએનએલ, જિઓ, સહિતની કંપનીઓનો રૂ.50 કરોડથી વધુનો વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરા વસૂલાતની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી દેવાયા બાદ મોબાઇલ ટાવરના વેરા વસૂલાતની કામગીરી ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશન અને મેનેજરોને સોંપવામાં આવી છે, પરંતુ આ અધિકારીઓને મોબાઇલ કંપની પ્રત્યે સોફ્ટ કોર્નર હોય તે રીતે તેની માહિતી છુપાવવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે અને કેટલો વેરો બાકી છે તે બાબતે પૂછતા એકબીજાને ખો આપી રહ્યા છે. આ અધિકારીઓ શા માટે મોબાઇલ ટાવર સીલ કરવાની કાર્યવાહી કરતા નથી તે બાબતે પણ મૌન સેવી લેતા ઇસ્ટ ઝોનના મેનેજર ગૌરવ ઠક્કર, આસિસ્ટન્ટ મેનેજર એચ.પી.રૂપારેલિયા સહિતના અધિકારીઓનો રોલ પણ શંકાના દાયરામાં આવી ગયો છે અને કોઇ અગમ્ય કારણોસર તેઓ મનપાનો બાકી વેરો વસૂલવા પ્રયાસ કરતા ન હોવાની છાપ ઊભી થઇ છે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ બીએસએનએલ કંપનીનો રૂ.14 કરોડથી વધુનો વેરો બાકી છે અને તેનાથી પણ વધુ રિલાયન્સ જિઓ કંપનીના મોબાઇલ ટાવરનો વેરો બાકી છે ત્યારે શા માટે તેમની સામે કાર્યવાહી કરાતી નથી તે મોટો સવાલ છે. આ બાબતની માહિતી મેનેજર આપશે: આસિસ્ટન્ટ મેનેજરે હાથ ખંખેર્યામહાનગરપાલિકાની સેક્રેટરી બ્રાન્ચમાંથી માહિતી લીક કરવાની શંકાએ હાંકી કઢાયેલા સેક્રેટરી ડો.એચ.પી. રૂપારેલિયા હાલમાં ઇસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેમને મોબાઇલ કંપનીઓનો વેરો બાકી છે તેની સંપૂર્ણ ખબર છે, પરંતુ માહિતી તો કાલે મેનેજર જ આપશે. ત્યારે શા માટે તેઓ માહિતી આપવાથી કતરાઇ રહ્યા છે અને કોને બચાવી રહ્યા છે તપાસનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:54 am

કૌભાંડીઓનો ખેલ ઊલટો પડ્યો:રાજકોટના તત્કાલીન પ્રાંત અધિકારીએ ખાનગી ઠેરવેલ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કરાયો

પારકી જમીન પચાવી પાડવાની માનસિકતા સાથે રાજકોટ શહેર-જિલ્લામાં જમીન કૌભાંડી તત્ત્વો દ્વારા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવા જ એક જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સામે શંકાની સોય તાણતો ચુકાદો આપ્યો છે. 46 વર્ષથી સરકારી નામે ચાલતી કરોડોની કિંમતી વેજાગામની એક એકરથી વધુ જમીન વર્ષ 2016માં રાજકોટ સિટી પ્રાંત-2 દ્વારા એક જ ઝાટકે ખાનગી ઠેરવી નાખ્યા બાદ ચટ મંગની પટ વિવાહ ઉક્તિ મુજબ ઉપરાછાપરી બબ્બે વેચાણ દસ્તાવેજ પણ કરી નાખવામાં આવ્યા હતા. જોકે બિનખેતી પોટેનશિયલ વાળી આ જમીન ખાનગી ઠેરવી દેવાના હુકમને જિલ્લા કલેક્ટરે રિવિઝનમાં લઈ તત્કાલીન પ્રાંત અધિકારીનો હુકમ રદ કરી દેતા જમીન કૌભાંડિયા તત્ત્વોની મેલી મુરાદ બર નથી આવી ઊલટું સરકારી જમીન ખાનગી ઠેરવવા કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલ વેજાગામ રેવન્યુ સરવે નંબર-57 પૈકી 4ની 1એકર 5 ગુંઠા જમીન વર્ષ 1968માં પ્રમોલગેશનથી સરકારના નામે ચાલતી હોય વર્ષ 1969માં નોંધ નંબર 205 રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં અચાનક જ વર્ષ 2016માં તત્કાલીન રાજકોટ સિટી પ્રાંત-2 અધિકારી દ્વારા પરચૂરણ અપીલ કેસ ચલાવી અરજદાર સોમાભાઈ મેરૂભાઇ માલકિયાની નોંધ પાડવા હુકમ કરી દીધો હતો. હકીકતમાં આવા કેસમાં પ્રથમ વિલંબ માફીની અરજી બાદ નિર્ણય લેવાતો હોય છે અને સરકાર અને ખાનગી માલિક વચ્ચેના જમીન વિવાદને જમીન મહેસૂલ કાયદાની કલમ 37/2 અન્વયે ચલાવવાને બદલે સીધી જ પરચૂરણ અપીલમાં સરકાર હેડે ચાલતી કરોડોની કિંમતી જમીન ખાનગી નામે ચડાવી દેવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા સત્તા બહાર જઈ પ્રાંત અધિકારીએ કરેલ ગેરકાયદેસર હુકમને રિવિઝનમાં લઈ સરકારના હિતને નુકસાન કરતા હુકમને રદ કરવા હુકમ કરી બોજા રહિત સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. નોંધનીય છે કે, 46 વર્ષ બાદ ખાનગી નામે જમીન ચડતા જ આ જમીનના ઉપરાછાપરી બે વેચાણ દસ્તાવેજ પણ થઇ ગયા હોય જમીન ખરીદનારાઓને પણ ભોગવવાનો વારો આવ્યો છે. ત્રંબામાં કસ્તુરબા આશ્રમને ફાળવેલી જમીન ખાલસા રાખવાનો હુકમ યથાવત્ રાખતા જિલ્લા કલેક્ટરરાજકોટ તાલુકાના ત્રંબા ગામે કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટને ખેતીનું શિક્ષણ અને છાત્રાલય માટે રેવન્યુ સરવે નંબર 277ની 35 એકર જમીન વર્ષ 1972માં ભાડાપટ્ટે ફાળવવામાં આવી હતી. જોકે વર્ષો સુધી કસ્તુરબા આશ્રમને ફાળવવામાં આવેલ જમીન પર મૂળ હેતુ મુજબ ખેતીનું શિક્ષણ આપવાનું કે, છાત્રાલય બાંધકામનું કામ ન થતા વર્ષ 2006-07માં શરતભંગ કેસ ચલાવી નાયબ કલેક્ટર દ્વારા શરતભંગ સાબિત માની છાત્રાલય માટે ફાળવેલી 20 એકર જમીન તેમજ ખેતીના શિક્ષણ માટે આપેલી 15 એકર જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. જેની સામે ટ્રસ્ટના વર્તમાન પ્રમુખે 17 વર્ષ બાદ વિલંબ માફ કરવાની અરજી કરતા વિલંબ માફીના કારણો વાજબી ન લાગતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વિલંબ માફીની અરજી રિજેક્ટ કરી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:53 am

એસએસજીના તબીબની ખાનગી હોસ્પિ.માં સર્જરી:ખભાના ફાટેલા સ્નાયુની છીદ્ર કરીને સર્જરી,હવે એસએસજીમાં પણ થશે

ઇજા કે વધતી વયને લીધે જ્યારે ઘણીવાર ખભા, ઘૂટણ અને ઘૂંટીના હાડકામાંથી સ્નાયુ છૂટા પડી જાય કે ફાટી જતા હોય છે, ત્યારે વ્યક્તિને એ અંગ હલાવતાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. આ ફાટેલા કે જુદા પડેલા સ્નાયુઓનું હાડકાં સાથે ફરી જોડાણ કરવાની ચીરફાડ વિનાની પહેલી સફળ સર્જરી શહેરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી. લેટેસ્ટ જર્મન ટેક્નોલોજી પર આધારિત આ સર્જરી આગામી સમયમાં એસએસજીમાં પણ થાય તેવી શક્યતા છે. આ સર્જરીમાં જે અંગના સ્નાયુ ફાટ્યા હોય ત્યાં એક અતિશય નાનું છીદ્ર પાડીને દૂરબીન મોકલાય છે, જે સ્નાયુનું પરીક્ષણ કરે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ 6થી 16 ચો. સેમીના માપનો એલોગ્રાફ્ટ મૂકાય છે. આ સર્જરી સ્પંદન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન ડૉ. ધ્રુવ શાહના નેતૃત્વમાં શહેરમાં પ્રથમ ડર્મલ એલોગ્રાફ્ટ ટેક્નિક સાથે કરાઈ હતી, જેમાં દર્દીને 3 જ ટાંકા લેવાયા હતા. એલોગ્રાફ્ટ જર્મન ટેક્નોલોજીથી બને છે. જેમાં બ્રેઇન ડેડ વ્યક્તિ જેમણે અંગદાન કર્યું હોય તેની ત્વચામાંથી તૈયાર કરાય છે. તેમાં સ્નાયુના રિપેરિંગ માટેના વિશેષ પ્રોટીન, કોલાજન અને ગ્રોથ ફેક્ટર્સ ઉમેરાય છે. આ જ કારણસર એક એલોગ્રાફની કિંમત 3થી 4 લાખ હોય છે. ડર્મલ એલોગ્રાફ્ટ સપોર્ટ પેચ જેવું કામ કરે છેડર્મલ એલોગ્રાફ્ટ ખભાના ફાટેલા સ્નાયુ માટે સપોર્ટ પેચ જેવું કામ કરે છે, જે મજબૂતી આપી ઝડપથી રૂઝ લાવે છે. 62 વર્ષીય વૃદ્ધાને 6 મહિનાથી ડાબા ખભે દુ:ખાવો થતો હતો, તેઓને હાથ ઉપર લઈ જવામાં તકલીફ પડતી હતી. હવે રિકવરી 4થી 6 મહિનામાં આવી જશે. > ડો. ધ્રુવ શાહ, ઓર્થોપેડિક સર્જન

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:52 am

આપઘાતનો મામલો આવ્યો સામે:પોતાના જ કારખાનામાં ફાંસો ખાઈ માલિકે આપઘાત કર્યો

શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનું ધરાવતાં 31 વર્ષીય યુવકે પોતાના કારખાનામાં ઉપરના માળે આવેલા ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બેભાન હાલતમાં યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઇમર્જન્સી વિભાગના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે દોઢ વર્ષના માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોટામવા પાસે આવેલ અલ્ટોસા લિવરી એરપોર્ટમેન્ટ રહેતા મીત પ્રફુલભાઈ ખાનપરા(ઉં.વ.31)નામના યુવકે રવિવારે સવારે વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા પોતાના ઉમિયાજી પંપ નામના કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે જાણ અહીં કામ કરતાં મજૂરોને થતાં દેકારો કરી મૂકતા આસપાસના પાડોશી કારખાનેદારોએ દોડી જઈ તુરંત જ બેભાન હાલતમાં મીતને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં અહીં તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હાય. ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક એક ભાઈ એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. પીએમ રૂમ હાજર મૃતકના સ્વજનોએ જણાવ્યા મુજબ, મીત સવારે પોતાના નિયત સમય કરતાં વહેલો કારખાને આવ્યો હતો અને અચાનક જ અહીં કામ કરતા શ્રમિક પાસે ઉપર ગોડાઉનની ચાવી માગી હમણા માલ આવે છે તેવું કહ્યું હતું. ગોડાઉનમાં ઘણો સમય વિત્યો હોવા છતાં મીત નીચે ન આવતા શ્રમિક જોવા જતાં લટકતો જોવા મળ્યો હતો. બનાવને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:50 am

ભાસ્કર એક્સપર્ટ:ઉત્તરાયણ પૂર્વે 10 દિવસમાં દોરા-તારમાં સમડી-ઘૂવડ સહિત 20 પક્ષીઓ ફસાયાં

ઉતરાયણના દિવસોમાં લટકતા દોરામાં પક્ષીઓ ફસાવાની ઘટનાઓ વધે છે. ફાયરબ્રિગેડના ડેટા મુજબ 10 દિવસમાં શહેરમાં 20 પક્ષીને રેસ્ક્યૂ કરાયા છે. લટકતા દોરામાં સૌથી વધુ 14 કબૂતરો ફસાયા હતા. જ્યારે અજબડી મિલ પાસે પિપળાના ઝાડ પર લટકતા દોરામાં સમડી ફસાઇ હતી. જેને બચાવવા બીજી સમડી આવી તો તે ફસાઇ ગઇ હતી. દરગાહના ખાદિમ અને સામાજિક કાર્યકરે જોતાં 112 પર કોલ કરતાં ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. ફાયરબ્રિગેડે આવીને સમડીને દોરામાંથી કાઢતા તે તુરંત જ ઊડી ગઇ હતી. કબૂતર વિશે વાત કરતાં એક પક્ષીવિદે કેટલીક રસપ્રદ વાત જણાવતા કહ્યું કે, કબૂતરો કેટલી નજીકથી દોરા જોઇ ઓળખી શકે છે તેનું કોઇ સંશોધન હજી સુધી થયું નથી. કબૂતર જ્યારે પણ ઊડે ત્યારે ઝડપભેર ઉડતા દોરામાં તુરંત જ ફસાય છે. તેની સંખ્યા પણ વધુ હોય છે. વળી તેના હાડકા અને પાંખ પોંચી હોવાથી વધુ ઇજા થાય છે. સમડીઓમાં સ્વજનને બચાવવાની વૃત્તિ વધારેસમડીની ખાસિયત એ છે કે, તેના બચ્ચા પુખ્ત થાય પછી જ ઊડે છે. અજબડી મિલના કિસ્સામાં પણ લોકોને મોટી સમડી દેખાઇ પણ તે ખરેખર બચ્ચું હશે, જે ફસાયું હતું અને તેની માતા સમડી તેને બચાવવા આવી હોય તેવી શક્યતા છે. સમડીઓમાં મુશ્કેલીમાં ફસાયેલા સ્વજનને કે સાથીને બચાવવાની સહજવૃત્તિ વધુ હોય છે. વાડી, ગોત્રી રોડ સહિતના વિસ્તારમાં પક્ષી ફસાયાં10 દિવસમાં વાડી ભાટવાડા, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેના ઝાડમાં, હસ્તીનાપુર સોસાયટી સામે, અજબડી મિલ પાછળ, પોપ્યુલર બેકરી પાસે (ઘુવડ), શ્રી હરિટાઉનશિપ, આજવા રોડ, તોડાવાળાનો ખાંચો, ગાજરાવાડી સુએઝ પંપિગ સ્ટેશન, તરસાલી તળાવ પાસે, યશ કોમ્પ્લેક્સ પાસે, દાંડિયાબજાર ગણપતિ મંદિર પાસે, સ્ટારસિટી, તાંદળજા સહિતના સ્થળોએ પક્ષીઓ દોરામાં ફસાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:50 am

હરીફ જૂથના આક્ષેપ, અમને ચૂંટણીથી દૂર રાખવાનો પ્રયાસ:ડૉ.બેંકરના પુત્રના લગ્નના ટાણે BCA ચૂંટણીના ફોર્મની તારીખ રખાતાં વિવાદ

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ચૂંટણીની તારીખો અને કાર્યક્રમને લઈ કેટલાક આક્ષેપો થયા હતા. હરિફ જૂથના ડૉ.દર્શન બેંકર ઉમેદવારી ન કરી શકે તે માટે તેમના પુત્રના લગ્નના બે દિવસ દરમિયાન જ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ રખાઈ હોવાના આરોપ લાગ્યા હતા. બે જાન્યુઆરીએ એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં બીસીએની ચૂંટણી 15 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત કરાઈ હતી. ઉમેદવારી પત્રક 12 અને 13 જાન્યુઆરીએ ઉપલબ્ધ રહેશે. 19-20 જાન્યુઆરીએ શપથપત્ર સાથે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા રખાશે. 21 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે અને 23 જાન્યુઆરીએ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે તેમ જાણવા મળ્યું હતું. હરિફ જૂથે અમને ચૂંટણીથી દૂર રાખવાનો આ પ્રયાસ છે, તેવા આક્ષેપ કર્યા હતા. ત્યારે આ મામલે પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડના ગ્રૂપે આક્ષેપ નકાર્યા હતા. તેમને કહ્યું હતું કે, અમને ડૉ.દર્શન બેંકરના પુત્રના લગ્નની તારીખની જાણ નથી. અગાઉ પણ ચૂંટણી પારદર્શી થઈ હતી, આ ચૂંટણી પણ પારદર્શી જ કરાવાશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:48 am

ફરિયાદ નોંધાઈ:કૌટુંબિક કાકાની ટ્રેડર્સના વેપારીને ધમકી, છરી બતાવી ગાળો ભાંડી

શહેરના રેસકોર્સ રિંગ રોડ આઈસક્રીમ પાછળ શ્રીરામ પાર્ક શેરી નં.2માં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ દુધાત્રા નામના ટ્રેડર્સના વેપારીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રાનું નામ આપ્યું હતું. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાય નામનો ટ્રેડર્સનો વેપાર છે. કૌટુંબિક કાકા પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રા જકાતનાકા પાસે ખોડિયાર માતાજીના મંદિર ખાતે એકલા રહે છે. તા.01/01/2026ના રોજ પુરુષોત્તમભાઈ તેની ટ્રેડર્સની ઓફિસ બહારથી પસાર થયા ત્યારે પોતે અન્ય વેપારીઓ સાથે ત્યાં ઊભા હોય તે સમયે પુરુષોત્તમભાઈએ આવીને કહ્યું કે, તારા પિતાજીને સમજાવી દેજે, મારા એકેય કામમાં આડા ન આવે. જે બાબતે સમજાવવા જતા તેમણે છરી બતાવી ગાળો ભાંડી હતી. આ મામલે પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

યુવક સામે ગુનો દાખલ:નંબર પ્લેટ વિનાની બુલેટ, મોડિફાઈડ સાઇલેન્સર મુદ્દે પોલીસ સાથે ઝપાઝપી કરનાર યુવક સામે ગુનો દાખલ

શહેરમાં ટ્રાફિક નિયમન કરવામાં અસમર્થ વડોદરા પોલીસ હવે શહેરીજનો સાથે રીઢા આરોપી જેવો વ્યવહાર કરતી થઈ ગઈ છે. શનિવારે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પર નંબર પ્લેટ વિનાની બુલેટ અને તેમાં લાગેલા મોડિફાઈડ સાયલન્સરને લઈને બાજવાના યુવક કૌશલસિંહ જાટ વિરુદ્ધ રાવપુરા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો છે. યુવકે આક્ષેપ કર્યો હતો કે તેને ટ્રાફિક એસીપી ડી.એમ.વ્યાસે માર માર્યો હતો. રાવપુરા પોલીસ મથકમાં પશ્ચિમ ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ જોગદીયા દ્વારા કૌશલસિંહ જાટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, બુલેટ ચાલક સવારે 10:35 વાગે ચાર રસ્તા પર સિગ્નલ પાસે ઉભો રહી મોબાઈલ પર વાત કરતો હતો. બુલેટની આગળ-પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી. મોડિફાઈડ સાઈલેન્સર લગાવ્યું હતું. વાહનચાલકને સાઈડમાં લઈ જતા તેને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. રાવપુરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ્યાં છે. જેમાં બુલેટ ચાલકને ત્રણથી ચાર પોલીસકર્મીએ જાહેર રોડ પર ખેંચીને પોલીસવાનમાં ધકેલ્યા બાદ માર માર્યો હતો. પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં સ્ષષ્ટ દેખાઈ આવતી હતી. રાવપુરા પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

વ્યાજખોરો સામે નોંધાયો ગુનો:રિક્ષાચાલકને વ્યાજના ચક્રમાં ફસાવી ઉઘરાણી કરતા મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટના જંગલેશ્વર કીર્તિધામ સોસાયટીમાં રહેતા સતારભાઇ ખમીશાભાઈ પતાણી(ઉ.વ.50) એ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી તરીકે કુલસુમબેન મેમણ, હનિફ અને યુવરાજ ડાંગર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. આશરે ચાર વર્ષ પહેલાં ભવાની ચોક નજીક પાનની દુકાને જતી વખતે તેમનો પરિચય કુલસુમબેન મેમણ સાથે થયો હતો. બે વર્ષ પહેલાં રિક્ષાના એન્જિન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતા તેમણે કુલસુમબેન પાસેથી કટકે-કટકે કુલ રૂ.3.10 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. તેઓને દર મહિને 30,000 વ્યાજ પેટે ચૂકવતો હતો. છેલ્લા બે વર્ષથી નિયમિત વ્યાજ ભર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક તંગીને કારણે તેઓને વ્યાજ ભરી શકાયું નહોતો. ફરિયાદીએ દેવપરામાં રહેતા હનિફ નામના શખ્સ પાસેથી 20,000ની ડાયરી કરાવી હતી. જેમાં વ્યાજ કાપીને રકમ આપવામાં આવી હતી. જે રકમનું દોઢ વર્ષમાં અંદાજે દોઢ લાખ રૂપિયા વ્યાજે ચૂકવ્યું હતું. સતારભાઇએ આવી જ રીતે યુવરાજ ડાંગર નામના શખ્સ પાસેથી 30,000ની ત્રણ ડાયરી કરાવી હતી. મહિલા સહિત ત્રણેય વ્યાજખોરો ફરિયાદીના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતાં હોય જેથી કંટાળીને સતારભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

26મી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન:DRDOની 41 લેબ અને 5 યંગ સંસ્થા ભારતને આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરે છે: ડૉ.ઉપેન્દ્રસિંહ

27 ડિસેમ્બરથી શરૂ થયેલી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન થયું હતું. અંતિમ દિવસે DRDOના ઉપેન્દ્રસિંહે કહ્યું હતું કે, ભારતને અતિ આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 41 લેબોરેટરી અને 5 ડીઆરડીઓ યંગ સંસ્થાઓ દ્વારા થતી કામગીરીની માહિતી આપીને શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મનિર્ભર જ નહીં નિકાસકર્તા દેશ તરીકે સિદ્ધિ મળી છે. રાજકોટના વતની અને રાજદૂત તરીકે વિવિધ દેશોમાં સેવા આપી હાલમાં મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસના ડાયરેક્ટર જનરલ પદે સેવા આપી રહેલ સુજોય ચિનોય એ શિબિરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, વૈશ્વિક સ્તરે સામાજિક- આર્થિક પરિસ્થિતિના બદલાવના લીધે અગાઉની માત્ર અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવીયના સ્થાને બહુધ્રુવીય વ્યવસ્થા નિર્માણ થવા પામી છે. આવા સંજોગોમાં પરસ્પર હિત ટકરાતા હોય એવા બંને દેશો જેમકે, અમેરિકા-રશિયા, ઇરાન-સાઉદી અરેબિયા, ઇઝરાયેલ- પેલેસ્ટાઇન એમ બંને દેશ સાથે કૂટનીતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ ટેરરથી વિશ્વના દેશો વિચલિત થયા, પરંતુ ભારત ઉપર તેની અસર નહિવત રહી. બેંગ્લોરથી પધારેલા જે.એન.પ્લેનેટોરિયમના વૈજ્ઞાનિક ડૉ.બી.આર. ગુરુપ્રસાદે ભારતે ઇસરોની સ્થાપના પછી અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓની અલભ્ય ડોક્યુમેન્ટરી વિશાળ સ્ક્રીન ઉપર દર્શાવી હતી. જેમાં ચંદ્રની ધરતી ઉપર મિનરલ્સ-પાણીની શોધ માટે ચંદ્રયાન-1,2,3 તેમજ સૂર્ય ગ્રહના સંશોધન માટે આદિત્ય એલ-1, મંગળ ગ્રહ ઉપર પાણીના સ્રોત અને માનવ વસાહતના સંશોધન માટે ગ્રહથી માંડીને ઈસરો અને નાસાના સંયુક્ત સાહસ એવા નિસાર ઉપગ્રહને અંતરીક્ષમાં મૂકવો, કેવી રીતે એકસાથે 104 ઉપગ્રહ તેમજ બાહુબલી 6500 કિગ્રાનો કદાવર સેટેલાઈટનું પ્રક્ષેપણ કર્યુ વિગેરેથી શિબીરાર્થીઓને અભિભૂત કર્યા હતા. રાષ્ટ્રકથા શિબિરમાં 1310 સૈનિકનું શિબિર દરમિયાન ક્રમશઃ હસ્તે શાલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ રાજ્યમાં 17,303 શિબિરાર્થીઓ સાથે આવેલ શિક્ષકો, વિનામૂલ્યે રાતદિવસ સેવા આપનાર મળીને 1200થી અધિક સહયોગીઓનું પણ સન્માન કરાયું

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:46 am

હાર્ટ એટેક:ચાલુ બાઇકે પ્રૌઢ ઢળી પડ્યા, 108ના સ્ટાફે 6 મિનિટ સીપીઆર આપ્યો છતાં જીવ ન બચ્યો

વાડી વિસ્તારમાં રહેતા પૌઢ રવિવારે બપોરે વાડી ટાવર પાસેથી બાઈક પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક ચાલુ બાઈક પરથી ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પૌઢને હાર્ટ એટેક આવ્યો હશે. હાલમાં વાડી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓ રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાંં જ વડોદરાના એક મહિલા તબીબનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું, જેમની વય 40 વર્ષ હતી. ત્યારે હાલમાં એક બાઈક ચાલકને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવી ગયો હતો. વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળમાં રહેતા 55 વર્ષીય સુજીતભાઈ મારકન્ડે રવિવારે તેમની દીકરી માટે કોઈ વસ્તુ લેવા માટે વાડી ટાવર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાડી ટાવર પાસે તેઓ ચાલું બાઈકે તે ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને 6 મિનિટ સુધી સીપીઆર આપ્યો હતો. કોઈ પ્રતિસાદ ન મળતા 108 તેઓને લઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કિસ્સામાં ફુડ અને હવાના પ્રદૂષણ સાથે ઘણા પાસા જવાબદાર છે હાલમાં જે રીતે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, સાથે ખાવાની સામગ્રીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે આ પ્રકારની તકલીફ વધી રહી છે. આ સાથે હાલમાં જે રીતે નાની વયના બાળકો અને જુવાન લોકોમાં જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે અને તે તપાસની બાબત છે. આવા કિસ્સાઓમાં ઘણા પાસાઓ કામ કરે છે. આવા કિસ્સાઓમાં તે પાસુ પણ કામ કરે છે કે, તમારી પેઢીમાં કોઈને આ પ્રકારની તકલીફ છે કે કેમ..? આજકાલ લોકો પેકેટ ફૂડ તરફ વધી રહ્યા છે. જે નુકસાનકારક છે. પહેલા શ્રમજીવીઓ બાજરીના રોટલા જમતા હતા પણ હવે તે પણ પેકેટ ફૂડનું જમે છે. લોકોએ પોતાનું જમણ સુધારવું જોઈએ. સાથે સ્વાસ્થવર્ધી આદતો અપનાવવી જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ. જો તમારી પેઢીમાં કોઈને હૃદયની તકલીફ હોય તો નિયમિત રીતે હૃદયની તપાસ કરાવવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:46 am

તૈયારીની સમીક્ષા કરશે હર્ષ સંઘવી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં

આગામી તા.11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થનાર હોય રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે . તેઓ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા કરવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે પણ બેઠક યોજશે. કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તડામાર તૈયારી વચ્ચે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે બેઠક યોજશે તેમજ કોન્ફરન્સની તૈયારીની પણ સમીક્ષા કરશે. આ તકે, ઇન્ડેક્સ- બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપટ સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:45 am