રાજકોટમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં સગાઇ બાદ પરિવાર લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીતો ગાય એ પહેલા રૈયાધાર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે રાજકોટ નજીક ખીજડીયા ગામે વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતા બન્ને બનાવમાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રોહિત રઘુભાઈ કુવરીયા (ઉં.વ.20) ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા 108ને જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રોહિત મૂળ રાધનપુરનો વતની હતો. અહીં માતા પિતા સાથે રહી મજૂરી કામ કરતો હતો. ગઈકાલે રાત્રે માતા-પિતા ઘરે હાજર ન હતા ત્યારે રોહિતે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી રોહિતની સગાઈ તેના વતન રાધનપુર ખાતે રહેતી યુવતી સાથે થઈ હતી અને ટૂંક સમયમાં જ તેના લગ્ન થવાના હતા પરિવારજનો લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીત ગાય એ પહેલા યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીન છવાઈ જવા પામી છે. જો કે અપઘાત અંગે કારણ જાણવા ન મળતા યુનિવર્સીટી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ખીજડીયાના વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યુંખીજડીયાના બાબુભાઈ સાવલીયા (ઉ.વ.63)એ ગઈકાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાબુભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે જો કે વૃદ્ધે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરનું ટેક્સટાઇલ માર્કેટ એશિયાનું સૌથી મોટું માર્કેટ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં છેતરપિંડી અને આગની ઘટનાઓ માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ પોલીસ-વેપારી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સૂચના મુજબ એડિશનલ સીપી બલરામ મીના સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને આર્થિક છેતરપિંડીથી બચાવવા અને ઉનાળાની સિઝનમાં આગ જેવી જાનમાલની નુકસાની રોકવા માટે જાગૃતિ લાવવાનો હતો. 'ઇકો સિસ્ટમ બગાડનારા લેભાગુ તત્વોને નહીં છોડાય'એડિશનલ સીપી બલરામ મીનાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટની આર્થિક ઇકો સિસ્ટમને બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ લેભાગુ તત્વોને છોડવામાં આવશે નહીં. તેમણે ખાતરી આપી હતી કે પોલીસ કમિશનરની કટિબદ્ધતા છે કે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ દેશના કોઈપણ ખૂણે છુપાયો હશે, સુરત પોલીસ તેને શોધી લાવશે અને એવો સબક શીખવાડશે કે ફરી ક્યારેય ગુનો કરવાની હિંમત નહીં કરે. આ સંવાદમાં છેતરપિંડીના ઇરાદે માર્કેટમાં પ્રવેશતા તત્વોને કઈ રીતે ઓળખવા અને ભવિષ્યમાં તેની સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગ સાથે મળીને સ્પેશિયલ સેફ્ટી ડ્રાઈવઉનાળાની શરૂઆત સાથે જ માર્કેટમાં શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓ વધતી હોય છે. આ મુદ્દે બેઠકમાં ફાયર ઓફિસર અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે નિર્ણય લીધો છે કે હવે દરેક માર્કેટમાં પોલીસ, ફાયર વિભાગ અને માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મળીને સ્પેશિયલ સેફ્ટી ડ્રાઈવ ચલાવશે. જેમાં માર્કેટના ફાયર પંપ ચાલુ છે કે નહીં, ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાશે. ટોરેન્ટ પાવરના અધિકારીઓએ પણ આગ લાગવાના ટેકનિકલ કારણો અને વીજ લોડ મેનેજમેન્ટ અંગે વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્ટોક અને બિલ્ડિંગનો ઇન્શ્યોરન્સ કરાવવા અપીલમાર્કેટમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે વેપારીઓને કરોડોનું નુકસાન થાય છે. આ આર્થિક નુકસાન સામે સુરક્ષા મળી રહે તે માટે બેઠકમાં વીમા કંપનીના અધિકારીઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ વેપારીઓને આગ્રહ કર્યો હતો કે માત્ર દુકાનનો જ નહીં, પણ દુકાનમાં રહેલા કાચા-પાકા માલ (સ્ટોક), બિલ્ડિંગ અને ટ્રાન્ઝિટમાં રહેલા માલનો પણ ઇન્શ્યોરન્સ જરૂર કરાવવો. વીમો લેવાથી કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે વેપારી પાયમાલ થતા બચી શકે છે. સમન્સ અને SIT મુદ્દે વેપારીઓની રજૂઆતસંવાદ દરમિયાન વેપારીઓએ પોતાની પ્રેક્ટિકલ મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઘણીવાર કોર્ટ આદેશ કરે છે પરંતુ સમન્સ સર્વ થતા નથી. ફરિયાદી સમન્સ લઈને ક્યાં સુધી ભટકશે? અગાઉ ગઢવી સાહેબના સમયમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા સારા કામ થયા હતા, પરંતુ બદલી બાદ હાલ કોનો સંપર્ક કરવો તે પ્રશ્ન હતો. પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે ટૂંક સમયમાં એક મીટિંગ કરી જવાબદાર અધિકારીનું નામ અને એક કોમન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે, જેથી વેપારીઓ સીધો સંપર્ક કરી આરોપીઓ કે વોરંટ બાબતે માહિતી આપી શકે. ભાડુઆતોની તપાસમાં કડકાઈ, દરેક પોલીસ સ્ટેશનમાં ડેડિકેટેડ સ્ટાફની માંગવેપારી મંડળે પોલીસ સમક્ષ મહત્વની રજૂઆત કરી હતી કે માર્કેટ વિસ્તારમાં આવતા 7 પોલીસ સ્ટેશનોમાં ભાડુઆતોની નોંધણી માટે ખાસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. અત્યારે ઘણા કિસ્સામાં નકલી સિક્કા અને ખોટા દસ્તાવેજો બનાવીને લેભાગુઓ દુકાનો ભાડે રાખતા હોય છે અને પછી છેતરપિંડી કરીને ભાગી જાય છે. જો પોલીસ, માર્કેટ એસોસિએશન, બ્રોકર અને મેનેજર - આ ચારેયના સત્તાવાર સિક્કા અને વેરિફિકેશન હોય તો જ ભાડુઆતને મંજૂરી આપવી જોઈએ. પોલીસે આ સૂચનને આવકારી 24 કલાક તપાસ ચાલે તેવી વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી. સીધા સંવાદથી પોલીસ-વેપારી વચ્ચેનું અંતર ઘટશેકાર્યક્રમના અંતે એ નિષ્કર્ષ નીકળ્યો હતો કે પોલીસ ગમે તેટલી કડક હોય, પરંતુ વેપારીએ પોતે પણ સાવધ રહેવું પડશે. જોઈન્ટ સીપીએ વેપારીઓને સૂત્ર આપ્યું હતું કે સાવચેતી એ જ સલામતી’ સોદા કરતી વખતે સાવધાની રાખવી, અજાણ્યા અને શંકાસ્પદ ખરીદદારોની યોગ્ય તપાસ કરવી અને પોલીસને સહકાર આપવો એ વેપારીઓની પણ જવાબદારી છે. આ પ્રકારના સીધા સંવાદથી પોલીસ અને વેપારીઓ વચ્ચેનો વિશ્વાસ વધશે અને સુરતનું ટેક્સટાઇલ માર્કેટ વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનશે.
ઇરાન માટે આજની રાત કતલની રાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પાવર પ્લાન્ટ ડેનું ડેડલી કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. ડેડલાઇન પહેલા અમેરિકાએ ઇરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો બોલાવી દીધો છે. હવે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના બ્રિજ, રેલવે નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને વોટર પ્લાન્ટ્સને નિશાન બનાવી શકે છે. જો હોર્મુઝના દરિયાઈ દરવાજા ખોલવાની વાત માનશે નહીં તો આ ટચૂકડા દેશને રાખના ઢગલામાં ફેરવી દેવાનો અમેરિકાનો પ્લાન છે. આવું ન થાય અને આ ધમકી વોર ક્રાઈમ બને એ માટે ઈરાને લોકોને પાવર પ્લાન્ટ અને બ્રિજ ફરતે હ્યુમન ચેઈન બનાવવા અપીલ કરી છે. એક બાજુ તેલના ભાવ આપણા ખિસ્સાં ખાલી કરી રહ્યા છે તો બીજી બાજુ UNની સિક્યોરિટી કાઉન્સિલમાં મહાસત્તાઓ વચ્ચે એવો ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે. જેમાંથી ત્રીજા વિશ્વ યુદ્ધની ગંધ આવી રહી છે. સમાચાર તો એવા પણ છે કે અમેરિકા યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને જર્મનીમાં સારવાર માટે મોકલે છે જેથી કોઈને જાનહાનીની ખબર ન પડી શકે. આ તરફ રશિયા ક્યૂબામાં તેલ ઉતારીને ટ્રમ્પની નાકાબંધીના ધજાગરા ઉડાવે છે. આ સ્થિતિમાં આ યુદ્ધ ગ્લોબલ કેઓસ બની ગયું છે. આજે આપણે યુદ્ધના પાંચ-સાત એવા પાસાઓની વાત કરવી છે જેના પર દુનિયાની નજર ઓછી પડી છે પણ પરિણામો ગંભીર આવી શકે છે. નમસ્કાર... જીઓપોલિટિક્સમાં એક કહેવત છે કે, જે જળમાર્ગ પર કબજો કરે તે વિશ્વના વેપાર પર રાજ કરે છે. હોર્મુઝ સ્ટ્રેઇટ અત્યારે એનું જ એપી સેન્ટર છે. દુનિયાની તેલ સપ્લાયનો લગભગ 20-22 ટકા હિસ્સો આ જ સાંકળી દરિયાઈ પટ્ટીથી પસાર થાય છે. યુદ્ધમાં ઇરાને આ વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે, જેનાં કારણે આખી દુનિયાની ઈકોનોમીની નસ સૂકાવા લાગી છે. અમેરિકાએ દુનિયાને મોંઘવારીના ભરડામાં ધકેલી પણ ખાલી હોર્મુઝમાં જ નહીં, ઈરાનના પ્રોક્સી સપોર્ટર્સ એટલે કે યમનના હુથી બળવાખોરોએ બાબ અલ-બંદેબ નામની સ્ટ્રેઇટમાં પણ તણાવ વધારી દીધો છે. આ બે ચેક પોઈન્ટ જો ચોક થઈ જાય તો તેલ અને ગેસની સપ્લાયમાં કાયમી અંધાધૂંધી થઈ શકે. આનાથી તેલ ને ગેસના ભાવો પણ આસમાને પહોંચી શકે તેમ છે. જો આવું થઈ જાય તો એશિયાથી યુરોપ સુધી આખી દુનિયા મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ જાય. હોર્મુઝ ખોલાવવા UNમાં ખતરનાક શબ્દો આવું ન થાય તેના માટે બહેરિને આગળ આવીને યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં એક નવું યુદ્ધ શરૂ કર્યું. બહેરિને હોર્મુઝ સ્ટ્રેઇટ અને બાબ અલ-મંદેબને ખોલાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો. આ ડ્રાફ્ટમાં કેટલાક ખતરનાક શબ્દ હતા. એ શબ્દ હતા કે બંને બ્લોકેજ ખોલાવવા માટે ઓલ નેસેસરી નીડ (લશ્કરી કાર્યવાહી) કરીને પણ બ્લોકેજ ખોલવામાં આવે. ઈઝરાયલને બગાસું ખાતા પતાસું આમાં અમેરિકા અને ઈઝરાયલને તો બગાસું ખાતાં પતાસું મળવાં જેવું હતું પણ 2026નો વર્લ્ડ ઓર્ડર ટ્રમ્પનાં કારણે બદલાઈ ગયો છે. ટ્રમ્પનાં કારણે દુનિયા ઉંધાચત્તી થઈ ગઈ છે. એવામાં રશિયા અને ચીન ઈરાનની પડખે આવ્યા. રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયા અને ચીનના એમ્બેસેડર ફૂ કોંગે બંને બ્લોકેજમાં લશ્કરી કાર્યવાહી ન કરવા પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે જો ઠરાવમાં બળપ્રયોગની વાત કરવામાં આવશે તો તે વીટો વાપરશે. તેમણે દલીલ રાખી કે પશ્ચિમના કારણે જ આજે ગાઝા પટ્ટીના હાલ બેહાલ થયા છે. જો આવું થાય તો ઈરાન પણ બીજું ગાઝા બની શકે છે. અમે એવું થવા દઈશું નહીં. દુનિયાને ફરી વર્લ્ડ વૉર ભેટમાં મળી શકે સૌથી મહત્ત્વની વાત એ છે કે યુરોપનો ભાગ અને અમેરિકાના મિત્ર હોવા છતા ફ્રાન્સે રશિયા અને ચીનનો સાથ આપ્યો છે. ફ્રાન્સે આ બંને બ્લોક ખોલાવવા લશ્કરી કાર્યવાહી પર નહીં પરંતુ ડિફેન્સિવ નીડ પર ભાર મૂક્યો. આવું એટલા માટે કારણ કે યુરોપ સહિત આખી દુનિયાને ડર છે કે જો લશ્કરી કાર્યવાહી થાય તો સીધું યુદ્ધ ફાટી નીકળે. જો એવું થાય તો દુનિયા ફરી વર્લ્ડ વોરમાં ધકેલાઇ જાય. UNના ઠરાવમાં યુદ્ધના શબ્દો હટાવાયા છેલ્લે, ઠરાવ પસાર કરવાની તૈયારી ચાલી રહી છે અને હવે આ આક્રમક ઠરાવને નબળો બનાવી દેવામાં આવ્યો છે. કારણ કે ઓલ નેસેસરી નીડની જગ્યાએ ઓલ નેસેસરી એન્ડ પ્રોપોર્શિનેટ ડિફેન્સિવ મીન્સ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જોવા જેવી વાત અહીં એ પણ છે કે આ ઠરાવની મંજૂરી જુલાઈ સુધી જ લિમિટેડ છે, પછી તેની એક્સપાયરી ડેટ આવી જશે. UNમાં અમેરિકાની હાર રશિયા-ચીનની જીત એક પ્રકારે UNSCમાં આ અમેરિકાની હાર અને રશિયા-ચીનની જીત છે. 2003માં જેવું અમેરિકાનું એકહથ્થું સાશન ચાલતું હતું એ 2026માં નબળું પડી રહ્યું છે. વોશિંગ્ટનને મન ફાવે તેમ નિર્ણયો લેતા પહેલા મોસ્કો અને બેઈજિંગની પરમિશન લેવી પડે છે. પણ જ્યારે UNમાં ઠરાવની ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે વ્હાઈટ હાઉસમાં વેપારી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનો ખર્ચ કોણ ચૂકવશે એ સવાલ કર્યો. ટ્રમ્પ હોર્મુઝ પર હવે ટોલ વસૂલશે ટ્રમ્પે સજેશન આપ્યું કે ઈરાન જીતી ગયા પછી અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા બધા જહાજો પાસેથી પર્મનેન્ટ ટોલ વસૂલશે. એક રીતે આ વિચાર લૉ ઓફ ફ્રી ટ્રેડ ઈન ઈન્ટરનેશનલ વોટર્સના કાયદાની વિરોધમાં છે. ટ્રમ્પની ટેક ધ ઓઈલ વાળી નીતિ અહીં ઓગળીને જાય છે કારણ કે હવે તેનું મિશન પરમાણુ નહીં પણ એનર્જી રિસોર્સિઝ છે. ટ્રમ્પની હુમલાની ડેડલાઈન તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે ટ્રમ્પની પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેની ધમકીની એક્સપાયરી ડેટ આવી ગઈ હશે. કારણ કે હમણા ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો હોર્મુઝના દરવાજા નહીં ખોલવામાં આવે તો 7 એપ્રિલ રાતે 8 વાગ્યા બાદ ઈરાનના બ્રિજ અને પાવર પ્લાન્ટ પર હુમલા શરૂ કરી દેવામાં આવશે. ઈરાનને અંધકારમાં ડૂબાડવા ટ્રમ્પ મરણિયા આ મિસાઈલના હુમલાની ધમકી નથી પણ એક દેશની કરોડરજ્જું તોડી પાડવાની ધમકી છે. ટ્રમ્પનું માનવું છે કે જો ઈરાન અંધકારમાં ડૂબી જશે તો તેની લડવાની ક્ષમતા અને જનતાનો ટેકો બંને છૂટી જશે. આ ધમકી જેટલી આક્રમક છે એટલી જ કાયદાકીય ગુંચવણોથી ભરેલી છે. જીનિવા કન્વેન્શનમાં વોર ક્રાઈમના નિયમો નક્કી થયા જ્યારે કોઈ મહાસત્તા પાવર પ્લાન્ટ્સ, ડેમ, સ્કૂલ, હેલ્થ યુનિટ વગેરે જેવી લોકોની સુખાકારીની વસ્તુઓને તોડી પાડવાની ધમકી આપે ત્યારે તે યુદ્ધ અપરાધ થઈ શકે છે. 1949ના જીનેવા કન્વેન્શન અને 1977ના એડિશનલ પ્રોટોકોલ્સ મુજબ જો યુદ્ધ ફાટી નીકળે તો શેના પર હુમલા થઈ શકે અને શેના પર હુમલા ન થઈ શકે. અહીં હુમલો થાય તો તે યુદ્ધ અપરાધ પાવર પ્લાન્ટ અને પુલ સીધી રીતે સૈન્ય મથકો નથી. જો તેના પર હુમલો કરવામાં આવે અને તેનાથી હોસ્પિટલ, પીવાના પાણી વગેરેને નુકસાન થાય તો તે વોર ક્રાઈમની કેટેગરીમાં આવી જાય. ટ્રમ્પનો હુમલો એટલે વોર ક્રાઈમ પ્રિન્સિપલ ઓફ પ્રપોર્શનાલિટીનો કાયદો કહે છે કે લશ્કરી ફાયદો લેવા માટે નાગરિકોને નુકસાન ન કરી શકાય. ટ્રમ્પની ધમકી આ પ્રિન્સિપલને ચેલેન્જ આપે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને UNના માનવાધિકાર પંચે પહેલેથી જ ચેતવણી આપી છે કે ઈરાનના પાવર ગ્રીડ પર હુમલો એ કલેક્ટિવ પનિશમેન્ટ જેવું ગણાશે. અમેરિકાની ક્રિયા, ઈરાનની પ્રતિક્રિયા સિદ્ધાંત પ્રમાણે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે. ટ્રમ્પની ધમકીની ક્રિયાના જવાબમાં ઈરાને પણ પ્રતિક્રિયા આપી છે. ઈરાનની સકરારે દેશના યુવાનો, કલાકારો અને રમતવીરોને આહવાન કર્યું છે કે તેઓ 7 એપ્રિલ 2026ના બપોરે 2 વાગ્યાથી દેશના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજની આસપાસ હ્યુમન ચેઈન બનાવીને ઉભા રહે. હુમલો ન થાય તેના માટે અહીં માનવ સાંકળ જો ટ્રમ્પ ભૂલથી પણ પાવર પ્લાન્ટ અને બ્રિજ પર મિસાઈલનો મારો ચલાવે અને હજારો લોકોના મોત થાય તો અમેરિકા યુદ્ધ અપરાધી બની જશે. ઈરાનની IRNA, Tasnim અને Farsના રિપોર્ટ મુજબ લોકોએ તો હ્યુમન ચેઈન બનાવવાની પ્લાનિંગ પણ ચાલી કરી દીધી છે. અહીં હ્યુમન ચેઈન બન્યાની અટકળો તમે હુમલો કરશો અમે શહીદ થઈશુંનો સંદેશ આવું એટલા માટે થયું કારણ કે ઈરાની સુપ્રીમ કાઉન્સિલ ફોર યુથ એન્ડ એડોલેસેન્ટ્સના સચિવ અલીરેઝા રહીમીએ ટીવીમાં ઈરાની જનતા અને દુનિયાને કહ્યું કે, અમે હાથમાં હાથ પરોવીને ઉભા રહીશું અને વિશ્વને કહીશું: માનવીય જરૂરિયાતો જેવી કે વીજળી અને પાણીના સ્ત્રોતો પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. વિરોધીઓ જ બન્યા દેશના રક્ષકો પણ આપણે એક ચોંકાવનારી વાત અહીં મિસ કરી જઈએ છીયે. જે ઈરાની જનતા એક સમયે ઉદ્ધ પહેલા ઈરાનની ઈસ્લામિક સરકારની સામે બાંયો ચઢાવીને વિરોધ પ્રદર્શનો કરી રહી હતી તે અત્યારે ઈરાનને બચાવવા માનવ સાંકળો બનાવી રહી છે. ઈરાનમાં રાષ્ટ્રવાદનો ઉભરો જ્યારે બહારનો દુશ્મન એટલે અહીં ઈરાનના કોન્ટેક્સમાં અમેરિકા આખા દેશને પથ્થર યુગમાં મોકલી દેવાની ધમકી આપે, ત્યારે જનતા આંતરિક મતભેદો ભૂલીને રાષ્ટ્રવાદના રંગે રંગાઈ જાય છે. ટ્રમ્પની આક્રમક ભાષાએ અજાણતા જ ઈરાન સરકારને આંતરિક મજબૂતી આપી દીધી છે. સરકાર સામે લડવા ટ્રમ્પે ઈરાનીઓને હથિયારો આપ્યા ગઈકાલે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે અનેક મોટા ધડાકા કર્યા હતા. તેમાંથી એક હતું કે જ્યારે ઈરાની લોકો ઈસ્લામિક સરકારના વિરોધમાં હતી ત્યારે તેમણે ઈરાની જનતાને સરકાર સામે વિરોધ કરવા યુદ્ધ પહેલા હથિયારો આપ્યા હતા. અમેરિકા આ હથિયારો કુર્દીશની મદદથી ઈરાન મોકલવાનું હતું પણ ટ્રમ્પે ફોડ પાડી કે તેમની સાથે તો ગેમ થઈ ગઈ છે. કુર્દોએ તે હથિયારો પોતાની પાસે જ રાખી લીધા અને તહેરાન કે ઈસ્ફહાનના પ્રદર્શનકારીઓ સુધી પહોંચાડ્યા જ નહીં. આનાથી ટ્રમ્પને એ વાતની તો ખબર પડી કે પ્રોક્સી વોર હંમેશા ધાર્યા પરિણામો આપે એ જરૂરી નથી. તો હથિયારોથી વાત ન બની તો ટ્રમ્પે સીધા બોમ્બમારા શરૂ કર્યા. અમેરિકન સૈનિકની માહિતી કોણે લીક કરી? પણ 21મી સદીના યુદ્ધો માત્ર જમીન કે આકાશમાં જ નથી લડાતા, સ્માર્ટફોન અને ટીવી સ્ક્રિન પર લડાય છે. ઈરાનમાં હમણા અમેરિકાએ લડાકુ વીમાનોએ આકાશથી મારો ચલાવ્યો. ઈરાને જવાબ આપ્યો અને હમણા જ સમાચાર આવ્યા કે અમેરિકાનું એફ-15 વિમાન તોડી પાડ્યું. એક પત્રકારે માહિતી લીક કરી દીધી કે આ તૂટેલા વિમાનમાંથી એક અમેરિકન સૈનિક ઈરાનના પહાડોમાં ફસાઈ ગયા છે. ટ્રમ્પે ધમકી આપી કે આ લીકને બીલકુલ નહીં સહન કરી શકાય. ઘાયલ સૈનિકોને જર્મનીમાં છૂપાવે છે અમેરિકા? અમેરિકાની સારા લક કે સૈનિક બચી ગયા અને અમેરિકાએ તેને બચાવી લીધા, પણ બધા બચતા નથી. અમુક શહીદ પણ થાય છે અને અમુકને જાનહાની પણ થાય છે. ભારતના એક વરિષ્ટ પત્રકાર આર. એન. ભાસ્કરનું કહેવું છે કે અમેરિકા અત્યારે પણ 2003ના ઈરાક યુદ્ધ જેવી રણનીતિ વાપરી રહ્યું છે. તેમણે ધડાકો કર્યો કે અમેરિકાના ઘાયલ સૈનિકોને વોશિંગ્ટનને બદલે જર્મનીના LRMC હોસ્પિટલમાં સિક્રેટ રીતે લઈ જવામાં આવે છે. એટલે અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા તે અમેરિકાથી દુનિયાને ખબર ન પડે. હોસ્પિટલમાં મહિલાઓની ડિલિવરી રોકવામાં આવી તે સાબિતી છે કે લગભગ ખરેખર યુદ્ધના ઘાયલ અમેરિકન સૈનિકોને જર્મની જ લઈ જવામાં આવે છે. વેનેઝુએલામાં ટ્રમ્પની તેલ ગેમ પણ જ્યારે દુનિયાની નજર ઈરાન પર હતી, ત્યારે અમેરિકાએ પોતાના બેકયાર્ડ લેટિન અમેરિકામાં મોટો ખેલ પાડ્યો છે. જાન્યુઆરી 2026માં અમેરિકી દળોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી અને ન્યુયોર્કમાં ખસેડ્યા છે. આપણે એ બધી વાત કરી કે કેવી રીતે ટ્રમ્પ વેનેઝુએલાના તેલ ભંડારો પર કબજો જમાવ્યો. 100 મિલિયન બેરલ વેનેછુએલાનું તેલ અત્યારે અમેરિકા પ્રોસેસ કરી રહ્યું છે. ટ્રમ્પનું માનીએ તો તેલ યુદ્ધમાં મળેલો માલ છે અને તેમાં તેનો હક છે. આનાથી તેલ બજારમાં અમેરિકાની તાકાત તો વધી પણ ઈન્ટરનેશનલ સોવેર્નિટીના ચીંથરેહાલ પણ ઉડી ગયા. ક્યૂબામાં અમેરિકાને રશિયન તમાચો અમેરિકાના આ જ ડોનરો ડોક્ટ્રિનને ટક્કર મારવા ક્યૂબામાં રશિયાએ મોટો દાવ રમ્યો છે. અમેરિકી બ્લેકજ હોવા છતાં, એનાટોલી કોલોડકીન નામનું રશિયન તેલ ટેન્કર સક્સેસફુલી 7 લાખ 30 હજાર બેરલ જેટલું તેલ લઈને ક્યૂબાના માતાંઝાસ બંદરે પહોંચ્યું છે. ટ્રમ્પને ગમ્યું તો નથી પણ મજબૂરીમાં તેણે રશિયાના કામને માનવીય કામ ગણાવ્યું. અમેરિકા ઓલરેડી ઈરાન સાથે યુદ્ધમાં છે તે એવી બિલકુલ હાલતમાં નથી કે રશિયા સામે મોરચો માંડે. રશિયાએ ક્યૂબામાં તેલ આપીને સાબિત કરી દીધું છે કે તે અમેરિકાના ઘર આંગણે પણ પોતાની તાકાત બતાવી શકે છે. યુદ્ધ ગમે તે જીતે પણ માનવતા હારશે તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે જો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે તો તે માત્ર ઈરાનનો અંધકાર જ નહીં હોય પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ કાયમી અંધકાર હશે. કારણ કે બંદૂકના જોરે કોઈ દેશની જનતાને નથી બદલી શકાતી, ઊલટાનું બહારના હુમલાએ ઈરાની જનતાને તેમની સરકાર સાથે વધુ મજબૂત રીતે જોડી દીધા છે. અમેરિકા હવે દુનિયાનો એકમાત્ર શક્તિશાળી પોલીસમેન નથી, રશિયા અને ચીને યુએન અને કેરેબિયનમાં સાબિત કર્યું છે કેવી રીતે તેઓ અમેરિકાની આંખમાં આંખ પરોવી શકે છે. યુદ્ધમાં જીત ભલે ગમે તેની થાય પણ હાર હંમેશા સામાન્ય નાગરિકની જ થાય છે. શાળામાં પડતા બોમ્બ અને હોસ્પિટલમાં થીજી ગયેલા સૈનિકો 2026નું સૌથી કદરૂપું સત્ય છે. અને છેલ્લે... અમેરિકાની ધમકી વચ્ચે ઈરાનના જાણીતા મ્યુઝિશિયન અલી ગમસારીએ દમાવંદ પાવર પ્લાન્ટ સામે બેસીને માય હોમલેન્ડ નામનું મ્યૂઝિક વગાડ્યું હતું. તેમનું સંગીત શાંતિ સંદેશ હતો. સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે આપવામાં આવેલા તાજેતરના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત મહેસાણામાં જોવા મળ્યા છે.મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. આ વિવાદના વિરોધમાં આવતીકાલે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા બે કલાકના મૌન ધરણા યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. ‘ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની પ્રકૃતિ બની ગઈ’પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેજીનું નિવેદન એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષને જરાય શોભતું નથી. ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની પ્રકૃતિ બની ગઈ હોય તેમ લાગે છે. દેશમાં ભાજપના લાંબા શાસન અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત બનેલી સરકારથી અકળાઈને કોંગ્રેસ હવે ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં પણ નર્મદા યોજના અટકાવીને અને સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને કોંગ્રેસે ગુજરાતને અન્યાય કર્યો છે.અને હવે ગુજરાતીઓને 'અભણ' કે 'મૂર્ખ' કહીને 7 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે જે ગુજરાત ક્યારેય સહન નહીં કરે. ‘ગુજરાત કોંગ્રેસ ખડગેના નિવેદન મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરો’આ પ્રસંગે પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ હાજરી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે આ મુદ્દાને માત્ર પક્ષ પૂરતો સીમિત ન રાખતા સમગ્ર ગુજરાતના સ્વાભિમાનનો ગણાવ્યો હતો. આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ આ નિવેદનના વિરોધમાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ ધરણા દ્વારા ભાજપના કાર્યકરો અને આગેવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કરશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનો વિરોધ કરશે.
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર પોલીસથી બચવા દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરનાર BHMSની ડિગ્રી ધરાવનારા ડો.વિપુલ હાંડા (ઉ.વ.34) નામના વ્યક્તિએ પોલીસે પીછો કરતા કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ચલાવી ટુ વ્હીલર ચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે આજીડેમ પોલીસે જસદણ તાલુકાના કોઠી ગામના ડો. વિપુલ હાંડા વિરુદ્ધ BNSની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં બેરીકેટ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન સોમવારે સવારે 11.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી કારને ઉભી રાખવાનું કહેતા પોલીસ પકડથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા સરકારી કારની મદદથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન શંકાસ્પદ કારચાલક 100થી વધુ સ્પીડે કાર હંકારી સરધાર ગામથી લોધીડા ગામ તરફ સિંગલ પટ્ટી રસ્તે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું હોવાનું સામે આવ્યું છે. આ પછી કાર ચાલકને મેડિકલ તપાસ સાથે હોસ્પિટલ લઈ જતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું અને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 20,00 ની કિંમતનો 100 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો. કાર ચાલક ડો.વિપુલ હાંડાની પ્રાથમિક પૂછપરછમાં તેની કારમાં રહેલો દેશી દારૂ તે ભાડલા ખાતે રહેતા વનરાજ રામકુભાઇ ગીડા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપીએ વર્ષ 2013-14માં રાજકોટની ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ BHMSની ડિગ્રી મેળવી હતી. શરૂઆતમાં પોતે નાનું ક્લિનિક ચલાવતો હતો પરંતુ બાદમાં પોતે લાખો રૂપિયાનું રોકાણ કરીને બોટાદના ગઢડા ખાતે હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં એમડી ડોક્ટર સહિતનાઓને તેણે રાખ્યા હતા. પરંતુ હોસ્પિટલના વ્યવસાયમાં ખોટ જતા તેની ઉપર દેણું થઈ ગયું હતું. જેના કારણે તે છેલ્લા બે ત્રણ વર્ષથી આર્થિક સંકળામણનો સામનો પણ કરી રહ્યો હતો અને તેની BHMSની પ્રેક્ટિસ પણ બંધ થઈ જતા પોતે દારૂની હેરાફેરી સાથે જોડાયો હતો.
એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર મલેશિયા અને થાઈલેન્ડ મોકલવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા આરોપીઓ ભૌતિક દામજીભાઈ પદમાણી અને ચેતન કનુભાઈ વાવડીયાને સેસન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચાવ પક્ષની એ રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી કે આરોપીઓ લાંબા સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તપાસના તમામ દસ્તાવેજો પોલીસ પાસે હોવાથી હવે તેમને વધુ સમય જેલમાં રાખવાનું કોઈ કાયદાકીય કારણ જણાતું નથી. આ હુકમથી ડ્રગ્સ કાર્ટેલ સાથે જોડાયેલા હોવાના આરોપનો સામનો કરી રહેલા બંને શખ્સોને મોટી રાહત મળી છે. શું હતો સમગ્ર મામલો?ATSના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. રહેવરને મળેલી બાતમીના આધારે નિકુંજ હરેશભાઈ ઘડીયા, ચેતન વાવડીયા અને ભૌતિક પદમાણી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવાનો કેસ દાખલ થયો હતો. આરોપ હતો કે તેઓ ઓટોમીડેટ પાવડરને એલોવેરા પાવડર અને ગીનોપોલ-24 ના સેમ્પલ તરીકે ખોટા લેબલ લગાવીને મુંબઈ એરપોર્ટથી વિદેશ મોકલતા હતા. ATS એ આક્ષેપ કર્યો હતો કે આ પાવડર મલેશિયા અને થાઈલેન્ડમાં પ્રતિબંધિત છે અને આરોપીઓએ બોગસ બિલ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી છે. બચાવ પક્ષની રજૂઆતઆરોપીઓ વતી વકીલ કેતન પી. રેશમવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ઓટોમીડેટ ઓપીઆઈ પાવડર ભારત દેશમાં પ્રતિબંધિત નથી. તેનું ખરીદ-વેચાણ કાયદેસર છે અને તે GST બિલ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રેશમવાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો કોઈ પાવડર અન્ય દેશમાં પ્રતિબંધિત હોય, તો તે ગુનાની કાર્યવાહી ભારતમાં ચલાવી શકાય નહીં. વધુમાં, એક્સપોર્ટમાં કોઈ કસ્ટમ ડ્યુટી લાગતી ન હોવાથી સરકારને કોઈ આર્થિક નુકસાન પહોંચ્યું હોવાના પૂરાવા પણ ATS રજૂ કરી શક્યું નથી. ગુનાહિત મુદ્દામાલ રિકવર થયો નથી, કોર્ટમાં દલીલકોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી કોઈ ગુનાહિત મુદ્દામાલ રિકવર થયો નથી. આરોપીઓની ઓફિસમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને હિસાબી ચોપડાઓ તપાસ અધિકારીએ અગાઉથી જ જપ્ત કરી લીધા છે. સમગ્ર કેસ દસ્તાવેજી પૂરાવાઓ પર આધારિત છે અને હવે આરોપીઓ દ્વારા પુરાવા સાથે ચેડાં કરવાની કોઈ શક્યતા નથી, જેને ધ્યાને લઈ જામીન આપવા જોઈએ. કોર્ટની ટિપ્પણી અને જામીનની શરતોસેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે નોંધ્યું કે માત્ર મિસલેબલિંગ કરવાથી સરકાર સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાતનો ગુનો સાબિત થતો નથી, ખાસ કરીને જ્યારે વસ્તુ દેશમાં પ્રતિબંધિત ન હોય. આરોપીઓ વતી વકીલ કેતન પી. રેશમવાલાની દલીલો સફળ રહી હતી અને બંને આરોપીઓને હવે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જેલમાંથી મુક્તિ મળશે.
વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં રહેતા અને અલકાપુરીમાં ચાંદીનો ધંધો કરતા વેપારી સાથે 17.33 લાખ રૂપિયાના ચાંદીના દાગીના લઇને અમદાવાદનો ઠગ ફરાર થઈ ગયો હતો. જે રૂપિયા પરત નહીં આપતા વેપારીએ અમદાવાદના શખ્સ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 12.12 લાખના 23 ચાંદીના સેટ વાઉચર ઉપર લઈ ગયાવડોદરા શહેરનાં હરણી રોડ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા અને અલકાપુરી વિસ્તારમાં અલંકાર આર્ટ સેન્ટર ખાતે ચાંદીના દાગીના વેચાણનો વ્યવસાય કરતા કલ્પેશ બિપિનચંદ્ર ઝીંઝુવાડીયાએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમના સંબંધીએ અમદાવાદના દર્શન સુરેશ વોરા નામના વ્યક્તિએ ઓળખાણ કરાવી હતી. ત્યારે દર્શન વોરા પ્રથમ વખત રૂ. 12.12 લાખના 23 ચાંદીના સેટ વાઉચર ઉપર લઈ ગયા હતા. અલગ-અલગ અંદાજે 17.83 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયાત્યારબાદ આ દર્શન વોરા વધુ ચાંદીની માંગણી કરતા અલગ-અલગ અંદાજે 17.83 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયા હતા. જેમાંથી માત્ર રૂ. 50 હજાર રૂપિયા પરત આપ્યા હતા અને બાકીની રકમ માટે બે ચેક આપ્યા હતા. પરંતુ બાદમાં રૂપિયા નહીં ચૂકવી સતત બહાના બતાવતો હતો. ત્યારબાદ રૂપિયા માટે ફોન કરતાં તેણે ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અનેક પ્રયત્નો છતાં આ શખ્સ પૈસા પરત આપતો નહોતો. વેપારીને ચાંદીના બદલામાં રૂપિયા નહીં ચૂકવીને છેતરપીંડી આચરી હતી.જેથી વેપારીની ફરિયાદના આધારે અકોટા પોલીસે રૂ.17.33 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દીધો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી. પંડ્યાએ પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની વિગતો આપી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને ઉમેદવારી પત્રો 15 એપ્રિલ સુધી પાછા ખેંચી શકાશે. જો પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો 27 એપ્રિલનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે. કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની નિમણૂક સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકા, પંચાયતો અને નગરપાલિકાના કુલ 9,88,807 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4,42,829 મતદારો માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતદાન કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓ કામગીરી વેગવંતી બનાવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદારો લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે જનજાગૃતિલક્ષી કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો હતો. માણસા શહેર સહિત સમગ્ર તાલુકામાં પડેલા આ વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને માણસા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો એરંડાનો જથ્થો વરસાદી પાણીમાં તણાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખીઆજે બપોરના સમયે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો એરંડાનો મોટો જથ્થો દુકાનોની બહાર ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યાઆ કમોસમી વરસાદનું જોર એટલું વધારે હતું કે યાર્ડના માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.જેના કારણે બહાર પડેલા એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. પોતાનો કિંમતી માલ પાણીમાં વહી જતો જોઈ વેપારીઓ અને મજૂરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે મજૂરોએ એરંડાને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી તેમ છતાં મોટા પ્રમાણમાં માલ પલળી જવાથી અને તણાઈ જવાથી આર્થિક નુકસાન થયું છે. ખેતરમાં ઉભેલા પાકને લઈને ચિંતાતુર ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ફફડી ઉઠ્યા છે. તો માણસાના માણેક પુર ગામમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.જેના લીઘે એક તબેલાના પતરા પણ ઊડી ગયા હતા. ત્યારે ઉનાળાની શરૂઆતે જ ચોમાસા જેવો માહોલ સર્જાતા સમગ્ર પંથકના જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી.
'કોંગ્રેસ માફી માંગે':ખડગેના નિવેદન સામે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. ગુજરાતની પ્રજા અભણ નથીમલ્લિકાર્જુન ખડગે નિવેદન આપ્યું હતું કે ગુજરાતની પ્રજા અભણ છે અને તેના કારણે ભાજપ તેમણે ભરમાવી રહી છે. આ નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા યોજાયેલા મૌન ધરણામાં કાર્યકરોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તેઓ સંદેશ પહોંચાડ્યો હતો એ ગુજરાતની પ્રજા અભણ નથી. 'કોંગ્રેસ માફી માંગે'ભાજપના શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાતે અનેક વિભૂતિઓ દેશને આપી છે ત્યારે આ નિવેદન એ તમામ આગેવાનોનું અપમાન છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ. આ કાર્યક્રમમાં દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ, પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો જોડાયા હતા. આગામી દિવસમાં અનેક વિરોધ કાર્યક્રમ યોજાશેભાજપ દ્વારા કોંગ્રેસના આ નિવેદનના પગલે આગામી દિવસોમાં અનેક વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. જિલ્લા ભાજપ દ્વારા પણ આ અંગે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવશે. ત્યારે ખડગેના આ નિવેદનના પગલે ભાજપ આક્રમક મૂડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા રાજ્યના વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026- 27 માટેની ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેથી પ્રવેશ પરીક્ષા માટે 26 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા 5 મે અને ડિપ્લોમા ટુ ડીગ્રી ફાર્મસી માટેની પ્રવેશ પ્રક્રિયા 9 મેના રોજ યોજવામાં આવશે. 26 એપ્રિલે પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતુંટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે બાદ રાજ્યની અલગ અલગ 30થી વધુ યુનિવર્સિટીમાં ડિગ્રી ટુ ડિપ્લોમાના અભ્યાસક્રમ ચાલે છે. જેથી તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેની રજીસ્ટ્રેશનની કાર્યવાહી 30 માર્ચના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 એપ્રિલના પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 એપ્રિલે મતદાન હોવાથી તારીખ બદલીપરંતુ તે બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પણ 26 એપ્રિલના રોજ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાનારા ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પરીક્ષા 5 મે અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પરીક્ષા 6 મેના રોજ યોજવામાં આવશે. જેથી હવે 5 અને 6 મેના ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગના 21707 વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં 339 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ જો વિદ્યાર્થીઓ પરીક્ષાના શહેરની પસંદગીમાં ફેરફાર કરવા માંગતા હશે તો તે 15 એપ્રિલ સુધી કરી શકશે.
ગુજરાત હાઇકોર્ટમાં 16 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આરોપી સામે મહેસાણાના સતલાસણા પોલીસ મથક ચાલુ વર્ષે ગુનો નોંધાયો હતો. સગીરા આગળ ગર્ભ ચાલુ રાખવા માંગતી ન હોવાથી આ અરજી કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ બાદ હાઈકોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપીઆ અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે મહેસાણાની સરકારી હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગર્ભપાતમાં કેટલું જોખમ રહેલું છે, તેનો રિપોર્ટ આપવાનો હતો. હોસ્પિટલના રિપોર્ટ મુજબ સગીરાનો ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે મેડિકલ રિપોર્ટને આધારે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી છે.સગીરાના ગર્ભના DNA સેમ્પલ તપાસ અધિકારીને સોંપવાનું રહેશે. જેથી આરોપી સામે મજબૂત પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ ઉપરાંત તેના ગર્ભપાત પહેલા તેમાં રહેલા જોખમ વિશે સગીરાને માહિતી આપવામાં આવશે. તેના ગર્ભપાત સમયે સંપૂર્ણ પ્રકારની કાળજી રાખવાની રહેશે.જો બાળક જીવિત જન્મે તો તેને જન્મ બાદ યોગ્ય મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવાની રહેશે. જો સગીરા બાળક રાખવા ઇચ્છતી ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
ચેક રિટર્ન કેસનો નાસતો આરોપી ઝડપાયો:કમલાબાગ પોલીસે કલમ 138 હેઠળ સજા વોરંટનો આરોપી પકડ્યો
પોરબંદરની કમલાબાગ પોલીસે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલા એક નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સજા વોરંટના કામે ફરાર હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધરપકડ આ અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત, પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. કાનમિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યું હતું. બાતમીના આધારે પોલીસે આરોપીના નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, પોરબંદર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના કેસ નંબર 1612/2025 મુજબ સજા પામેલો આરોપી સાગર તુંબડીયા (ઉંમર 31) પોતાના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. આરોપી સાગર તુંબડીયા પોરબંદરના માછલી ઘરની પાછળ, કંકાઈ મંદિર રોડ, બાપુના બંગલા પાસેનો રહેવાસી છે. પોલીસે આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કમલાબાગ પોલીસની આ કામગીરીથી સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત સરકાર હેઠળના ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેમાં બે મોટા ડ્રેજિંગ ઓપરેટરો ધરતી ડ્રેજિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને સહારા ડ્રેજિંગ લિમિટેડને એક ઑફશોર કોન્ટ્રાક્ટમાંથી અયોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. આ ચુકાદાથી ગુજરાતના સમુદ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અમલીકરણનો માર્ગ ખુલ્લો થયો છે. આ કેસ ઓખા, ઓલ્ડ મુન્દ્રા અને નવલખી બંદરો ખાતે ડ્રેજિંગ માટે જાહેર કરાયેલા ટેન્ડર સાથે સંકળાયેલો હતો. આ ત્રણેય બંદરો કચ્છના ખાડી વિસ્તારમાં આવેલા છે, જે વ્યાપારિક તેમજ સંવેદનશીલ દરિયાકાંઠા માટે જાણીતા છે. આ બંદરોને ઊંડા, નાવચાલન માટે યોગ્ય અને કાર્યરત રાખવું માત્ર આર્થિક નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. મરિન ડ્રેજિંગ એટલે સમુદ્રના તળિયે એકત્રિત થયેલા કાંપ, રેતી અને અન્ય અવશેષોને દૂર કરવાની પ્રક્રિયા. સમય જતા આ જમાવટ પાણીની ઊંડાઈ ઘટાડે છે, જેના કારણે મોટા કાર્ગો જહાજો માટે પસાર થવું મુશ્કેલ બને છે. મરિન ડ્રેજિંગ ખાસ કરીને ખુલ્લા સમુદ્રમાં કરવામાં આવે છે, જ્યાં ઊંચા જ્વારભાટા અને અનિશ્ચિત પરિસ્થિતિઓ હોય છે. કાઢવામાં આવેલ સામગ્રીને સમુદ્રના વધુ ઊંડા ભાગોમાં નિકાલ કરવામાં આવે છે, જેને ડીપ સી ડિસ્પોઝલ કહેવામાં આવે છે. બીડર્સ પાસે મરિન ડ્રેજિંગનો અનુભવ જ નહોતોઓખા, મુન્દ્રા અને નવલખી જેવા બંદરોમાં ડ્રેજિંગ “સમુદ્રના હાઈવે”ને ખુલ્લા રાખવાનું કામ કરે છે. જો ડ્રેજિંગ ન થાય તો ક્રૂડ ઓઈલ, કોલસો, ખાતર અથવા આવશ્યક વસ્તુઓ લઈ જતા જહાજો બંદર સુધી પહોંચી શકશે નહીં. GMBએ સ્પષ્ટ કર્યું હતું કે ફક્ત તે જ બિડરો પાત્ર ગણાશે જેઓ પાસે ખુલ્લા સમુદ્રમાં મરિન ડ્રેજિંગનો અનુભવ હોય, માત્ર નદી કે આંતરિક ડ્રેજિંગનો અનુભવ પૂરતો નહીં ગણાય. બિડ્સની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લીડ બિડર પાસે એવો મરિન ડ્રેજિંગનો અનુભવ નહોતો અને તેમનું કામ મુખ્યત્વે નદી સંબંધિત પ્રોજેક્ટ્સમાં સીમિત હતું. બિડરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતીતેમની અયોગ્યતા સામે બિડરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને GMB દ્વારા જોહુકમી તથા દુર્ભાવના હોવાનો આરોપ લગાવ્યો હતો. GMB તરફથી હાજર સરકારી વકીલ જી.એચ.વીર્કે આ આરોપોનો વિરોધ કર્યો હતો અને પ્રોજેક્ટની ટેકનિકલ જટિલતા તથા જોખમોને ધ્યાનમાં રાખીને શરતોમાં છૂટછાટ ન આપવાની દલીલ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે નાવચાલનની સલામતી, બંદરોની કાર્યક્ષમતા અને માલસામાનની અવરજવરનો મુદ્દો હોય, ત્યારે ટેકનિકલ માપદંડોમાં સમાધાન થઈ શકે નહીં. નવલખી જેવા બંદરો સંપૂર્ણ રીતે કાર્યરત બનવા માટે ડ્રેજિંગની રાહ જોઈ રહ્યા છે, તેઓમાં મોટી સંભાવનાઓ છુપાયેલી છે. આ પ્રોજેક્ટ માત્ર પાણીની ઊંડાઈ વધારવાનો મુદ્દો નથી, પરંતુ આર્થિક ક્ષમતાઓને ઉજાગર કરવાનો, સતત સમુદ્રી પરિવહન સુનિશ્ચિત કરવાનો અને અનિશ્ચિત સમયમાં ભારતની ક્ષમતાને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવતી નેત્રમ શાખાએ આધુનિક ટેકનોલોજી અને માનવીય અભિગમનો સમન્વય સાધીને નવ જેટલા અરજદારોના ખોવાયેલા કિંમતી સામાન, રોકડ અને મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાએ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આશરે 1.72 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે. આ સમગ્ર કામગીરીમાં 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ શહેરમાં કાર્યરત સીસીટીવી કેમેરા નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થયું છે. નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ.પી. મકવાણા અને તેમની નિષ્ણાત ટેકનિકલ ટીમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરીને ગુનાખોરી ડામવાની સાથે નાગરિકોની સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જે લોકોએ પોતાનો સામાન પરત મેળવવાની આશા છોડી દીધી હતી, તેમને પોલીસે સામેથી સંપર્ક કરીને તેમનો સામાન પરત સોંપતા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ સફળતામાં સૌથી મોટો કિસ્સો જૂનાગઢના રહેવાસી હર્ષલભાઈ ભરતભાઈ રાજાનો રહ્યો હતો. તેઓ રાયજીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ખિસ્સામાંથી 1,14,500 રૂપિયાની માતબર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો ભરેલું પાકીટ ગાંધીગ્રામ પાસે રસ્તામાં પડી ગયું હતું. આ બાબતની જાણ થતા જ નેત્રમ શાખાએ હર્ષલભાઈના રૂટ પરના સીસીટીવી કેમેરા અને લોકલ ફૂટેજની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે પાકીટ શોધી કાઢીને હર્ષલભાઈને રૂબરૂ બોલાવી પૂરેપૂરી રકમ પરત કરી હતી. આવી જ રીતે, ફેઝાનભાઈ શરીફભાઈ શેખ નામનો યુવક સુખનાથ ચોક તરફ જતો હતો ત્યારે તેનો 14 હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ પડી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે એક બાઈક ચાલકે આ મોબાઈલ રસ્તા પરથી ઉઠાવ્યો હતો. પોલીસે બાઈક નંબરના આધારે તે વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો અને ગણતરીની કલાકોમાં મોબાઈલ પરત અપાવ્યો હતો. આ ઉપરાંત, ઈવનગર રોડ પરથી પસાર થતી એક પીકઅપ રિક્ષામાંથી 50 કિલો શિખંડ ભરેલું પાર્સલ રસ્તા પર પડી ગયું હતું. નેત્રમ શાખાએ સીસીટીવીની મદદથી વાહનનો નંબર શોધી કા્યો હતો અને મૂળ માલિક રાદડીયા ઘનશ્યામભાઈને સામેથી બોલાવી 12,500 ની કિંમતનો આ માલ પરત કર્યો હતો. શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ પોલીસની સતર્કતા જોવા મળી હતી. ગીરીરાજ રોડ તરફ જતા મહેશભાઈ ભટ્ટ પોતાનો સેમસંગ મોબાઈલ રીક્ષામાં ભૂલી ગયા હતા, જ્યારે રાજકોટના દીપકભાઈ ધોળકીયા પોતાનું કપડાં ભરેલું બેગ ઝાંઝરડા ચોકડી પાસેની રીક્ષામાં ભૂલી ગયા હતા. નેત્રમ શાખાએ આ બંને કિસ્સામાં રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરીને રીક્ષા ચાલકોનો સંપર્ક કર્યો હતો. રીક્ષા ચાલકોએ પણ પ્રામાણિકતા દાખવીને સામાન પોલીસમાં જમા કરાવ્યો હતો, જે પોલીસે મૂળ માલિકોને સુપરત કર્યો હતો. આ ઉપરાંત ભાવેશભાઈ સરધારાનું પાકીટ, પવનકુમાર ડોડેચાનું બેગ અને અન્ય અરજદારોની ચીજવસ્તુઓ પણ સીસીટીવીની મદદથી તાત્કાલિક રીકવર કરવામાં આવી હતી. પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહીથી તમામ અરજદારો અભિભૂત થઈ ગયા હતા. જેમને સામાન પરત મળવાની કોઈ આશા નહોતી તેવા લોકોએ જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ સમગ્ર કાર્યવાહીમાં પી.એસ.આઈ. એચ.પી. મકવાણાની સાથે ટેકનિકલ ઓપરેટર પ્રતીકભાઈ કરંગીયા, પાર્થભાઈ ચૌહાણ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ દ્વારા પોલીસે સાબિત કર્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાની સેવા અને સુરક્ષા વધુ સુદ્રઢ બની શકે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા તાજેતરના વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ નિવેદનના વિરોધમાં ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર એકમ દ્વારા સેક્ટર-21 ના શોપિંગ સેન્ટર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ એક કલાક સુધી મૌન પાળીને કોંગ્રેસના નેતૃત્વ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને કોંગ્રેસ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ ઉપસ્થિત રહેલા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે હતાશામાં આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. રીટાબહેને કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસની દાળ હવે પાકવાની નથી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જે નેતાને શાકભાજી કિલોમાં આવે કે લિટરમાં તેની પણ સમજ નથી તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી કોંગ્રેસ હંમેશા જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરે છે: રીટા પટેલગુજરાતની અસ્મિતાનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિ ગુજરાતની દેન છે. દેશના આર્થિક વિકાસમાં આજે પણ ગુજરાત 10 ટકાથી વધુ ફાળો આપી રહ્યું છે. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોની સફળતા પાછળ પણ ગુજરાતનું નામ જોડાયેલું છે, જે કોંગ્રેસે કદાચ વિસારે પાડ્યું છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતી આવી છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યોગાંધીનગર શહેર ભાજપના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના મતે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન માત્ર પક્ષલક્ષી નથી પરંતુ તે રાજ્યની જનતાનું અપમાન છે જેને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. એક તરફ કોંગ્રેસના નિવેદનો અને બીજી તરફ ભાજપનો આ મૌન વિરોધ આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં નવા વળાંકો લાવશે તેવું જણાઈ રહ્યું છે. હાલ તો ભાજપે આ મૌન આંદોલન દ્વારા કોંગ્રેસના નેતૃત્વને ઘેરવાની રણનીતિ અપનાવી છે.
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિજયનગરના અંતરિયાળ ખારીબેડી ગામે કિશોરીઓ માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અંગે વ્યાપક જનજાગૃતિ અને વર્તન બદલાવ અભિયાન (SBCC) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાબરકાંઠાના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. ખારીબેડી વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં HPV સંક્રમણ અને તેના ગંભીર પરિણામો, ખાસ કરીને ગર્ભાશયમુખ (સર્વાઇકલ) કેન્સર વિશે વૈજ્ઞાનિક આધારિત માહિતી પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા રસીકરણ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કિશોરીઓને જણાવ્યું કે HPV એક સામાન્ય સંક્રમણ છે જે જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓને અસર કરે છે. તેમણે 9 થી 14 વર્ષની વયે અપાતી HPV રસીના ફાયદા સમજાવ્યા, જે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે અને ગર્ભાશયમુખ કેન્સરનું જોખમ ઘટાડે છે. કિશોરી વય રસીકરણ માટે સૌથી અસરકારક સમય છે કારણ કે આ ઉંમરે શરીર રસીને ઝડપથી અને લાંબા ગાળે સ્વીકારી શકે છે. આનાથી રસીની અસરકારકતા મહત્તમ બને છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્તદાન મહાદાન ના ઉમદા આશય સાથે તબીબી અધિકારીઓ, સ્ટાફ, આશા બહેનો અને ગ્રામજનો દ્વારા કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ GMERS બ્લડ બેંકના સ્ટાફના સહયોગથી યોજાયો હતો અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગર દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે પ્રતિક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
વાંટડીના ગુમ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી:ગામ નજીક ડુંગર પર ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો
હિંમતનગર તાલુકાના વાંટડી ગામનો એક યુવક છેલ્લા દસ દિવસથી ગુમ હતો. મંગળવારે તેનો મૃતદેહ ગામ નજીકના ડુંગર પરના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ગાંભોઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંટડી ગામના વિશાલસિંહ કમલેશસિંહ સોલંકી (ઉંમર આશરે 24 વર્ષ) ગાંભોઈમાં આવેલા એક મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા નવ-દસ દિવસથી ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી અને જાણવાજોગ નોંધ પણ કરાવી હતી. મંગળવારે ગ્રામજનોને ગામના ડુંગર પર એક ઝાડ પર યુવકનો મૃતદેહ લટકતો હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા તે ગુમ થયેલા વિશાલસિંહ સોલંકીનો જ મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે અગમ્ય કારણોસર ઝાડ સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાય છે. ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI બાલુસિંહ ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહ દસ દિવસ જૂનો હોવાથી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી RFOની બદલીઓએ વનવિભાગમાં પલિતો ચાંપ્યો છે. 30મી માર્ચે એકસાથે 365 જેટલા RFOની બદલીઓ થઇ હતી. જેમાં વિસ્તરણ અધિકારીઓને ગીરમાં અને ગીરના અધિકારીઓને વિસ્તરણમાં મૂકી દેવાતા વનવિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હકીકતમાં આ 'સાફ સફાઇ' પાછળ મુખ્યમંત્રીનો સીધો આદેશ હતો. મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતોટોચના સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વર્ષોથી પોતાની જગ્યા પર જામી ગયેલા RFOને હટાવવા માટે મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતો. જેના પછી બદલીનો આખો પ્લાન તૈયાર થયો હતો અને ઇતિહાસમાં પહેલી વખત આ રીતે બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત IFS અધિકારીઓની પણ બદલી કરાઇ હતી. ગીરમાં અનુભવ વગરના અધિકારીઓ મૂકાતા વિરોધનો વંટોળસામાન્ય રીતે ગીર જંગલમાં એવા અધિકારીઓને મૂકવામાં આવતા હોય છે જે પ્રાણીઓની બાબતમાં અનુભવી હોય પરંતુ આ વખતની બદલીઓમાં આવું નથી થયું. આ વખતે નોર્મલ રેન્જના અધિકારીઓને ગીર જંગલમાં મૂકી દેવાયા હતા એટલે વિરોધનો વંટોળ શરૂ થયો હતો. પૈસા લઇને બદલી કરાતી હોવાનું ખૂલ્યું હતુંગીરના અધિકારીઓને હટાવવામાં વન વિભાગના વડા દ્વારા જ પૈસાનો વહીવટ કર્યાની રજૂઆત RFO એસોસિએશને મુખ્યમંત્રી અને વનમંત્રીને કરી હતી. જેના પછી મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તપાસ કરાવી તો ખૂલ્યું કે મોટાભાગની બદલીઓ વહીવટથી કરાય છે. જેથી મુખ્યમંત્રી નારાજ થયા હતા.જેના કારણે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરીકે ફરજ બજાવતા એ.પી.સિંઘને તેમના પદ પરથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને જયપાલસિંઘને ચાર્જ સોંપાયો હતો. જો કે આંતરિક ગણગણાટ મુજબ વહીવટની વાતો ચાલે છે પણ ટોચના સૂત્રોએ તેનો ઇન્કાર કર્યો હતો. જયપાલસિંઘને પ્રમોટ કરવાની કવાયતજયપાલસિંઘને ચાર્જ સોંપાવા પાછળનું એક કારણ એ પણ છે કે સરકારે તેમને પ્રમોટ કરવાની તૈયારી કરી લીધી છે. જયપાલસિંઘનું નામ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ (DG ફોરેસ્ટ) તરીકે મોકલાયું છે. જેથી તેમને અત્યારે ચાર્જ સોંપાય તો તે અપગ્રેડ થાય અને તેમના ચાન્સ વધી જાય. નાયબ સચિવને સાઇડ પોસ્ટિંગ!સચિવાલયના અન્ય અધિકારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ તરીકે કરવામાં આવી છે. જેને સાઇડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે. આને વન વિભાગના માળખામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. જો કે સરકારનો આ નિર્ણય વનવિભાગની સાથોસાથ ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેરળની એક જાહેર સભા દરમિયાન ખડગેએ ગુજરાતી પ્રજા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, તેને ભાજપે ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે. આ અપમાનજનક નિવેદનનો સજ્જડ વિરોધ કરવા માટે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા શહેરના મધ્યમાં આવેલા આઝાદ ચોક ખાતે એક દિવસીય અને ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને મૂર્ખ અને અબુધ કહીને સંબોધ્યા છે, જે અત્યંત નિંદનીય અને આઘાતજનક બાબત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાત એ ધરતી છે જેણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા યુગપુરુષો દેશને આપ્યા છે. જેમણે આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હોય તેવા મહાપુરુષોની ભૂમિના લોકોને આવા શબ્દો કહેવા એ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. વધુમાં ગૌરવ રૂપારેલિયાએ ઉમેર્યું હતું કે, વર્ષ 2014 થી દેશ જેમના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના જ સપૂતો છે. કોંગ્રેસ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરીને પોતાની હતાશા વ્યક્ત કરી રહી છે, પરંતુ ગુજરાતની જનતા આ અપમાન ક્યારેય સહન કરશે નહીં. ભાજપની સ્પષ્ટ માંગ છે કે મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં પોતાના નિવેદન બદલ માફી માંગે અને પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરે. આઝાદ ચોક ખાતે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત ભાજપના તમામ કોર્પોરેટરો, વિવિધ વોર્ડના પ્રમુખો અને વિવિધ મોરચાના કાર્યકર્તાઓએ પણ ધરણામાં જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ ગુજરાતીઓની માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધના સૂર શાંત પડશે નહીં. આ પ્રતિક ઉપવાસ દ્વારા ભાજપે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સાથે છેડા કરનારને જનતા ક્યારેય માફ કરશે નહીં. આ કાર્યક્રમને પગલે આઝાદ ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની હાજરીને કારણે વાતાવરણ રાજકીય રીતે ગરમાયું હતું.
રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આ નિવેદનના વિરોધમાં આજે ભાવનગર મહાનગર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ ડો. હરેશ નાવડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા વીર સપૂતો આપ્યા છે, જેમણે દેશને વિશ્વ ફલક પર સર્વોચ્ચ સ્થાન અપાવવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવતા ગુજરાતના અપમાનનો જનતાએ આગામી ચૂંટણીમાં મતાધિકાર દ્વારા એવો 'કરારો જવાબ' આપવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ ગુજરાતીઓ વિરુદ્ધ બોલતા પહેલા સો વાર વિચાર કરે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યઓ, શહેરના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારઓ, તમામ વોર્ડના પ્રમુખ - મહામંત્રીઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારઓ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં ભાજપનું મહા જનસંપર્ક અભિયાન:સ્થાપના દિવસ નિમિત્તે વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડી
વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મહા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓએ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં જનસંપર્ક યાત્રા કાઢી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. કાર્યકર્તાઓએ સામાન્ય નાગરિકો સાથે સીધી મુલાકાત કરી સરકારના કાર્યો અંગે પ્રતિસાદ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' જેવા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ દેશપ્રેમથી છવાઈ ગયું હતું. આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી જયેશ પંડ્યા, મૌલિક વૈયાટા, મહિલા મોરચાના અગ્રણી મંજુલાબેન સુયાણી અને અમૃતાબેન અખિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંગઠનની એકતા અને સક્રિયતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપ દ્વારા આયોજિત આ મહા જનસંપર્ક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારના વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાનો અને આગામી સમયમાં જનસમર્થનને વધુ મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક યુવકની નજર ચૂકવી તેના બાઈકના થેલામાં રાખેલા રૂપીયા 1.70 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા છે. આ ઘટના બાદ કેશોદ પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી ગઠિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામના યુવક આજે સવારે કેશોદની એસબીઆઈ (SBI) બેંકની શાખામાંથી રૂપીયા 1,70,000 રોકડા ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ તેઓ બાઈક લઈને રવાના થયા હતા અને બેંકથી માત્ર 150 મીટર દૂર આવેલા ચાર ચોક પાસે તિલક વિસ્તારમાં ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. બલભદ્રસિંહજીએ પોતાનું બાઈક પાર્ક કરીને ઠંડું પીણું પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી ત્રણ ગઠિયાઓએ બાઈક પર ટીંગાડેલા થેલાની ક્લિપ અને ચેઈન ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ ગઠિયાઓ થેલામાં રાખેલી 1.70 લાખની રોકડ રકમ કાઢીને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ ભાગી છૂટ્યા હતા. યુવકને જ્યારે શંકા ગઈ અને તેણે થેલો ચેક કર્યો ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ભોગ બનનાર બલભદ્રસિંહજીએ જણાવ્યું હતું કે, મેં બેંકમાંથી પૈસા ઉપાડીને બાઈકના થેલામાં મૂક્યા હતા. ઠંડું પીવા માટે ગાડી રોકી ત્યારે નજર ચૂકવીને ત્રણ જણા પૈસા લઈને જતા રહ્યા હતા. મેં તાત્કાલિક પોલીસને જાણ કરી છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસની દુકાનો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લૂંટ ચલાવીને જૂનાગઢ તરફના માર્ગે નાસી છૂટ્યા છે. પોલીસે જિલ્લાભરમાં મેસેજ પાસ કરીને ગઠિયાઓનો પીછો કરવા અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સનાળા રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પક્ષની પ્રતિબદ્ધતાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે તો શહેરના વિકાસ અને પારદર્શિતા માટે ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવશે. ચૂંટણી પ્રચારનો મુખ્ય સંકલ્પ તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. કોંગ્રેસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ચૂંટણીને તેમના નામે લડવાનું નક્કી કર્યું છે. પક્ષના તમામ કાર્યકરો હું છું કિશોર ચીખલીયા ના સંકલ્પ સાથે પ્રચારમાં જોડાશે. કિશોર ચીખલીયાએ જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા આપેલા યોગદાનને ધ્યાને રાખીને કાર્યકરો પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસની મુખ્ય પ્રતિબદ્ધતાઓ શુદ્ધ પાણીની સુવિધા: શહેરમાં હાલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી અશુદ્ધ પાણી સપ્લાય થઈ રહ્યું છે. કોંગ્રેસે ખાતરી આપી છે કે સત્તા પર આવતા જ તમામ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. જનરલ બોર્ડનું લાઈવ પ્રસારણ: પાલિકાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે જનરલ બોર્ડની બેઠકોનું સીધું પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી બોર્ડમાં થતી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયોની જનતાને સીધી જાણકારી મળે. પાયાની સુવિધાઓ: શહેરના રોડ-રસ્તાની હાલત સુધારવા તેમજ બાગ-બગીચા જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવશે. શહેર પ્રમુખે ઉમેર્યું હતું કે, કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન દ્વારા મોરબીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા પક્ષ કટિબદ્ધ છે.
AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી.. તો ભાજપના ઉમેદવારો પસંદ કરવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. 10 સભ્યો નક્કી કરશે કે ટિકિટ કોને આપવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો . પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા ક્ષત્રિય આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા આપમાં જોડાયા.. ઈસુદાન ગઢવીએ કહ્યું જે લોકો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે, એવા તમામ લોકોને અમે આવકારીએ છીએ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાના પોલીસ પર ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે હર્ષ સંઘવીના કહેવાથી પોલીસે તેમના ઘરે તપાસ કરી , તેમની માતાની હેરાનગતિ કરી .સુરતના ડીસીપીએ આ આક્ષેપોને રદિયો આપ્યો કે આ વાતમાં કોઈ તથ્ય નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર એ છે કે સ્કાયમેટે આ વર્ષે ચોમાસું નબળુ રહેવાની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાકિસ્તાનથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ ગુજરાત અને રાજસ્થાન ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો.. 5 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનની આવતું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંજૂરી વગર જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ અમદાવાદના જગન્નાથ મંદિર ટ્ર્સ્ટની 60 કરોડની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો.. મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે આ મામલો કોર્ટમાં છે.. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દયા-સુંદરના પિતા પંચમહાભૂતમાં વિલીન ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતા પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીના જણાવ્યા પ્રમાણે તેઓ દોઢ વર્ષથી પેરાલાઈઝ્ડ હતા..થલતેજ સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોટલના રુમમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સાઈકૃપા હોટેલમાં 27 વર્ષીય યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું . તેની બેગમાંથી યુવતીનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે.યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક આવ્યો.. 4 દિવસ બાદ 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો..માતા-પિતાના નિવેદન લેવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્ટો કારે ત્રણ ગુલાટી ખાધી,એકનું મોત અમરેલીના ધારીમાં અલ્ટો કાર પલટી ખાઈ ગઈ.ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે ત્રણ ગુલાટી ખાધી. બહાર નીકળવાના પ્રયાસમાં એકનું કાર નીચે દબાઈ જતા મોત થયું. તો બેનો આબાદ બચાવ થયો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયાના બીજા દિવસે પણ કોઈ ફોર્મ ભરાયું નથી. બપોરના ત્રણ વાગ્યા સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વેરાવળ નગરપાલિકાની એકપણ બેઠક માટે એકપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યો ન હતો. આ પરિસ્થિતિએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આના કારણે અંતિમ ક્ષણોમાં ભારે દોડધામ થવાની સંભાવના છે. વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ સ્તરે યોજાશે. જેમાં જિલ્લા પંચાયતની 5 બેઠકો, તાલુકા પંચાયતની 22 બેઠકો અને વેરાવળ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો માટે રાજકીય પક્ષો, દાવેદારો અને કાર્યકરો સક્રિય બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તંત્ર દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌહાણને ચૂંટણી અધિકારી બનાવાયા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે તાલુકા વિકાસ અધિકારી રાજેશ ટીલાવતની નિમણૂક થઈ છે. વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે પ્રાંત અધિકારી કકડીયાને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. ઉમેદવારી પત્રો રજૂ ન થયા હોવા છતાં ફોર્મ ઉપાડવામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 35 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 135 ઉમેદવારી ફોર્મ લેવાયા છે, જ્યારે વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે કુલ 130 ફોર્મ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમેદવારો અને પક્ષો હજુ પણ અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. ટિકિટ ફાળવણી, આંતરિક મતભેદો, ગઠબંધન અને સમીકરણોની ગોઠવણ જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો દાખલ થવાની શક્યતા છે. મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અંગે ચાલી રહેલી આંતરિક ચર્ચાઓને કારણે દાવેદારો રાહ જોઈ રહ્યા હોવાનું મનાય છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આજે સવારના સમયે એક કરુણ ઘટના સામે આવી છે. ભગવાન મહાવીર કોલેજની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની કિશોરીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘરના પાસેના તળાવમાં માછલી પકડવા ગઈ હતી કિશોરીમળતી માહિતી મુજબ, અંજુમકુમારી ગોવિંદરા મહારા વેસુના ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી હતી. જે આજે 7 એપ્રિલના સવારે 11:15 વાગ્યે તળાવે માછલી પકડવા માટે ગઈ હતી. માછલી પકડતી વખતે અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.બાળકી પાણીમાં ડૂબતી હોવાનું જોઈ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે જાણ કરી હતી. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ જીવ બચાવી ન શકાયોઘટનાની જાણ થતાં જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાં લાપતા થયેલી અંજુમકુમારીને શોધી કાઢી બહાર કાઢી હતી. જોકે, બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હોવાથી તેની હાલત અત્યંત નાજુક હતી. સ્થાનિકો અને ફાયરના જવાનો દ્વારા વિલંબ કર્યા વગર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ કરી હતી. કમનસીબે, તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ બાળકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં પરિવારના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લામાં બપોર બાદ વરસાદ:કેટલાક વિસ્તારોમાં ધોધમાર, ક્યાંક ધીમીધારે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, મહીસાગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ પલટાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. લુણાવાડા તાલુકાના તાલધામોદ, લાલસર, સાધકપુર, વખતપુર, સરોલી, જુફરાલી અને કડાછલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. લુણાવાડા શહેરમાં પણ ધીમી ધારે હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, વીરપુર નગર અને બાલાસિનોર તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ થયો હતો. વાતાવરણમાં આવેલા આ પલટા અને વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 'STAIRS સ્કૂલ ફૂટબોલ લીગ (SSFL) નેશનલ કેમ્પ 2026'નો પ્રારંભ થયો છે. નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન અને STAIRS ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પ 7મી અપ્રિલથી 9મી એપ્રિલ સુધી ચાલશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની પાયાની ફૂટબોલ પ્રતિભાઓને નિખારવાનો છે. આ SSFL 2026 અંતર્ગત દેશભરના 12 રાજ્યો અને 29 શહેરોમાંથી 50,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રવ્યાપી સખત પસંદગી પ્રક્રિયા બાદ, 100 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમને આ પ્રતિષ્ઠિત નેશનલ કેમ્પમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે CVM યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી અને DFA પ્રમુખ મેહુલ પટેલ, STAIRS ફાઉન્ડેશનના સ્થાપક સિદ્ધાર્થ ઉપાધ્યાય, આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ, ગોપાલ કાગ અને માધવન જાજુ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રિપબ્લિક ઓફ આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડે ખાસ હાજરી આપી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આટલી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓને સ્પર્ધા કરતા જોવા એ એક અદભૂત પહેલ છે. ફૂટબોલ સખત મહેનત અને માનસિક મજબૂતી માંગે છે.” STAIRS ફાઉન્ડેશનના પ્રમુખ સિદ્ધાર્થ ઉપાધ્યાયે ઉમેર્યું કે, SSFL એ શાળા સ્તરેથી પ્રોફેશનલ ફૂટબોલ સુધી પહોંચવાનો સચોટ માર્ગ છે. આ કેમ્પ ગુજરાતના તેમજ દેશભરના યુવા ફૂટબોલરો માટે પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર ખોલશે. પ્રતિભા દરેક જગ્યાએ છે, માત્ર તકોની જરૂર છે — મેહુલ પટેલ આણંદ જિલ્લા ફૂટબોલ એસોસિએશન (DFA) ના પ્રમુખ અને CVM ના જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવા ફૂટબોલરો માટે આ કેમ્પ પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર બનશે. ડેવિડ ફોર્ડ જેવા આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વના માર્ગદર્શનથી ચરોતર પ્રદેશના ખેલાડીઓને વૈશ્વિક એક્સપોઝર મળશે . તેમણે ઉમેર્યું કે કેમ્પના પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તાલીમ આપી ભારતીય યુથ આઈ-લીગ એકેડેમીમાં જોડાવાની તક અપાશે.ભવિષ્યનો મજબૂત પાયો: CVM ફૂટક્લબના ફૂટબોલ ડાયરેક્ટર ગોપાલ કાગે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ખેલાડીઓને પ્રોફેશનલ ફૂટબોલની વધુ નજીક લઈ જશે. સહભાગી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની શારીરિક અને માનસિક તાલીમ આપી ભારતના ફૂટબોલના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે.
ભાવનગરના તળાજાના પાદરગઢમાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠળિયા ગામના એક પરિવારના ભાઈ-બહેનના લગ્ન પાદરગઢ ગામે સમાજના રિવાજ મુજબ સામસામે કર્યા હતા. જેમાં પુત્રીને તેના સાસરિયામાં મનદુ:ખ સર્જાયું હતું. જેના કારણે માતા-પુત્ર તેની દીકરીને લેવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરિયાઓએ વૃદ્ધા અને તેના પુત્ર પર હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે માતાએ દાઠા પોલીસ મથકમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રીને લેવા માટે ગયાને હુમલો થયો આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, વૃદ્ધાના પુત્ર લાલજી અને પુત્રી ગીતાના લગ્ન સામસામે કુંચા પરિવારમાં કર્યા હતા. તાજેતરમાં દીકરીને તેના સાસરિયાઓ સાથે કોઈ મુદ્દે વાંધો પડતા ફરિયાદી બાલીબેન અને તેમનો પુત્ર લાલજી તેમની દીકરી ગીતાના દીકરા-દીકરીને તેડવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરીયા જેમાં જમાઈ દિલીપ કુંચા, ગીગા કુંચા, લાલજીની પત્ની સોનલ અને વિઠ્ઠલ કુંચાએ બાલીબેન અને તેમના પુત્ર લાલજી સાથે ઝઘડો કર્યો હતો. 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ઝઘડો ઉગ્ર થતા માતા-પુત્ર પર ધોકા વડે હુમલો કરી નાની મોટી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બબાલમાં ઈજાગ્રસ્ત માતા પુત્રને પ્રથમ દાઠા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. જો કે ત્યારબાદ વધુ સારવાર માટે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દાઠા પોલીસે દિલીપ કુંચા, ગીગાભાઈ કુંચા,વિઠલ કુંચા, સોનલબેન સહિતના તમામ વિરુદ્ધ BNS 115(2), 117(2), 352, 351(3), 54 તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ઝાડ પડ્યું:સિવિલ હોસ્પિટલ ગેટ પાસે ઝાડ ધરાશાયી, અફરાતફરી મચી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મુખ્ય ગેટ પાસે એક વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ઝાડ પડવાની ઘટનાને પગલે ઈમરજન્સી વિભાગ પાસે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
જિલ્લાના સિહોર, ઉમરાળા અને જેસર પંથકમાં માથાભારે તત્વો દ્વારા ખેડૂતોને પરેશાન કરવાના અને જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધતા, પીડિત ખેડૂતો અને સામાજિક આગેવાનોએ ભાવનગર એસ.પી.ને રૂબરૂ મળી કડક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્તરે પોલીસની મિલીભગતને કારણે આ 'બબૂચકો' બેફામ બન્યા છે. જમીન વેચી દે નહીંતર ખેતી કરવા નહીં દઉં, ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાના અને ખેડૂતોને ડરાવી-ધમકાવી તેમની કિંમતી મિલકત હડપ કરી લેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક ગંભીર મામલો ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં એક લાચાર ખેડૂતે પોતાની જમીન બચાવવા અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે, શાન ઠેકાણે ન આવતા તત્વોએ ફરી ધમકીઓ આપવાનું શરૂ કરતા ખેડૂત પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પુત્રના મોત બાદ પણ પઠાણી ઉઘરાણીથી કંટાળી ખેડૂત પરિવાર SPના શરણે ભાવનગર જિલ્લામાં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા તત્વોનો આતંક સીમા વટાવી રહ્યો છે ઉમરાળા તાલુકાના લિખાળા ગામના એક વૃદ્ધ ખેડૂતે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી ભાવનગર એસ.પી.ને ન્યાયની ગુહાર લગાવી છે મકાન અને જમીન વેચીને મુદ્દલ ચૂકવી દીધી હોવા છતાં, પુત્રના અવસાન બાદ પણ વ્યાજખોર દ્વારા આપવામાં આવતી ધાક-ધમકીઓને કારણે ખેડૂત પરિવારે હવે પોલીસ રક્ષણની માંગ કરી છે, પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે દાદાગીરી કરે છે જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામના એક ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે પોતાની જ માલિકીની જમીનમાં ખેતીકામ કરવા જતાં અટકાવી, જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ કંટાળીને ખેડૂતે ભાવનગર પોલીસ અધિક્ષક સમક્ષ ન્યાયની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે અવારનવાર કરાતી દાદાગીરી અને જમીન સસ્તામાં વેચી દેવા માટે અપાતા દબાણને કારણે ખેડૂત પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે, મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી સિહોરના મોટા સુરકા ગામના એક આસામી દ્વારા પોતાની માલિકીની રૂ.24 લાખની મશીનરી વેચ્યા બાદ, તે મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી કરી કામ અટકાવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે પીડિત દ્વારા ભાવનગર એસ.પી. ને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે,ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી પા ગામમાં 29 વીઘા જમીન ધરાવતા ખેડૂતને પોતાના જ ખેતરમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે, આ મામલે વિક્રમદેવસિંહ રણુભા સરવૈયા અને મુનો રણુભા સરવૈયા નામના શખ્સો સામે આક્ષેપ છે કે તેઓ ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી આપી રહ્યા છે, મોટા સુરકાના ખેડૂત જયેશભાઈ દામજીભાઈ જસાણીએ રજૂઆત કરી છે કે, કછોટિયા ગામમાં આવેલી તેમની સાડા સાત વીઘા જમીનમાં પડોશી ખેડૂત ધીરસંગભાઈ પરમાર ગેરકાયદેસર રસ્તો વાપરી રહ્યા છે, જયેશભાઈએ જણાવ્યું કે, જ્યારે મેં તેને અટકાવ્યો ત્યારે તેણે ફોન પર નશાની હાલતમાં હોવાની અને 'તારે જે કરવું હોય તે કરી લેજે' તેવી ધમકી આપી હતી હાલમાં તેમના ખેતમજૂરોને પણ ડરાવવામાં આવી રહ્યા છે, 'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ આ અંગે ખેડૂત આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, એસ.પી. સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે, ખેડૂતોને હેરાન કરતા આવા 'બબૂચકો' સામે પોલીસ ટાંટિયાતોડ સર્વિસ જેવી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે ગામડાઓમાં માથાભારે તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, અને જો કોઈ જાય તો સ્થાનિક પોલીસ તેમની મદદ કરતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે, ખેડૂતોને પરેશાન કરતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. અમે એસ.પી.ને આવા ઈસમોને તેમના ઠેકાણે પાડવા વિનંતી કરી છે, એસ.પી. દ્વારા આ તમામ અરજીઓ સ્વીકારીને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે
ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એક વીડિયોના માધ્યમથી ગોપાલ ઈટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે, હર્ષ સંઘવી, તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી. તમારે મારી સાથે તકલીફ હોય તો હું વિસાવદરમાં જ છું. જે કલમ હેઠળ જ્યારે ધરપકડ કરવી હોય તેની છૂટ છે. અમે ડરી જવાના નથી. હર્ષ સંઘવી એક મહિનાથી પોતાને તીર માર ખાં સમજે છે- ગોપાલ ઈટાલિયાગોપાલ ઈટાલિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા એક મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 'તીસ માર ખાં' સમજે છે. કઈ વાંધો નહીં, ઘણા તીસ માર ખાં આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના તીસ માર ખાની પણ વ્યવસ્થા થઈ જાહે જનતા દ્વારા. હર્ષ સંઘવીએ મારા પરિવારના સભ્યોને ધમકાવવાનું કામ કરાવ્યું- ગોપાલ ઈટાલિયાઆજે એવું થયું કે હર્ષ સંઘવીએ સવાર-સવારમાં મારા ઘરે પોલીસવાળાને મોકલ્યા. હું તો અત્યારે વિસાવદર બેઠો છું, આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર IB પાસે છે, મારું લોકેશન IB પાસે છે, મારી બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે, એને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, સુરત. એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધેસીધા મારા ઘરે ગયા, થોડીઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ અને પછી પાછળથી પાછો સારો એવો વીડિયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. તમારા IPSમાં તાકાત હોય તો મારી ધરપકડ કરી લેવાની છૂટ છે- ઈટાલિયાઈટાલિયાએ વધુમાં કહ્યું કે, અમે કંઈ ફાટી પડતા નથી. તમારામાં અને આઈપીએસમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. જ્યારે મજા આવે ત્યારે, જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. મારા માતા સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ના બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીની સાથે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને જે હોશિયારીઓ બતાવી છે એ બિલકુલ વ્યાજબી વાત નથી.મારી મા સિનિયર સિટીઝન છે. હું રાજકારણમાં છું, મારા મમ્મીએ તો મને ઘણું કીધેલું કે બેટા રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખાઓ હોય, આમાં ગુંડાઓ હોય, બેટા આપણે આ નો કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ નો આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પરંતુ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય, તો હવે હુંય રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પૂરવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. ભાવનગરના કેસમાં પોલીસ સમન્સ લઈને ઈટાલિયાના ઘરે ગઈ હતી- ડીસીપીઆમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપ અંગે સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાવનગર કેસમાં સમન્સ લઈને પોલીસ તેમના ઘરે ગઈ હતી. તેમનું ઘર ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવે છે. જોકે તેઓ ઘરે નહોતા એટલે પોલીસ પરત આવી ગઈ હતી.
જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ રંગ લાવી રહી છે. શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા એક મજબૂર શખ્સને વ્યાજના વિષચક્રમાં ફસાવી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલના કામ માટે રાખેલા પૈસા પણ પડાવી લેનાર મહિલા વ્યાજખોર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોષીપરાના નંદનવન રોડ પર રહેતા અશરફભાઈ અનવરભાઈ બ્લોચને ફેબ્રુઆરી 2024માં રૂપીયા 30,000ની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે જોષીપરામાં રહેતી અને મોતીબાગ પાસે ઓફિસ ધરાવતી દિવ્યા કિશોરભાઈ સાવલાણીનો સંપર્ક કર્યો હતો. દિવ્યાએ પોતાની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાનું જણાવી રૂપીયા 30,000 આપ્યા હતા, પરંતુ લાયસન્સની શરતો બાજુ પર મૂકી દર મહિને 10% વ્યાજની માંગણી કરી હતી. આટલું જ નહીં, તેણે એડવાન્સ વ્યાજ પેટે રૂ. 6,000 કાપીને અશરફભાઈને માત્ર રૂ. 24,000 રોકડા આપ્યા હતા અને ગેરંટી પેટે બે સહી કરેલા કોરા ચેક પણ લખાવી લીધા હતા. ફરિયાદી અશરફભાઈએ શરૂઆતમાં દર ગુરુવારે રૂ. 2,000ના હપ્તા નિયમિત ચૂકવ્યા હતા. જોકે, ધંધામાં મંદી આવતા જ્યારે તેઓ હપ્તો ભરી શક્યા નહીં, ત્યારે દિવ્યા સાવલાણીએ અસલી રૂપ બતાવ્યું હતું. દિવ્યાએ અશરફભાઈને પોતાની ઓફિસે બોલાવીને ધમકી આપી હતી કે, તું મને ઓળખતો નથી, મારી ઓફિસની નીચે જ મારા માણસો બેઠા છે, તારા ટાંટીયા ભંગાવી નાખીશ અને જાનથી મરાવી નાખીશ. ડરી ગયેલા અશરફભાઈ પાસે તે સમયે દવા લેવા માટે રાખેલા રૂ. 6,000 હતા, જે દિવ્યાએ બળજબરીથી પડાવી લીધા હતા. આ મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે અશરફભાઈની ફરિયાદના આધારે આરોપી મહિલા દિવ્યા સાવલાણીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મહિલા વિરુદ્ધ એક મહિના પહેલા પણ ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો. તેની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાના દાવાની પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ યોજાયેલા સેમિનારથી પ્રેરાઈને ફરિયાદીએ હિંમત દાખવી આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ડરે નહીં અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જેથી આવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.
લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ આજે 7 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મીનીબા વાળાને ખેસ પહેરાવી તેમનો વિધિવત આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે. આ સમયે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા જેટલા પણ લોકો છે એ તમામને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું. ખાસ આજે પદ્મીનીબા વાળા જોડાયા છે અમારી સાથે તેઓ પંજાબમાં આમ આદમીની સરકાર દ્વારા દર મહિને મહિલાઓના ખાતામાં જે રૂપિયા 1000 આપવામાં આવી રહ્યા છે તેનાથી પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પદ્મિનીબા વાળાએ ભાજપના પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ ક્ષત્રિય આંદોલનમાં સક્રિય બની ભાજપનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આજે તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે.
વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ પારૂલપાર્ક સોસાયટી અને ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલ પર આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગત 4 એપ્રિલની અજાણ્યા ચોરોએ મંદિરનો દરવાજો તોડીને ચાંદીની મેલડી માતાની મૂર્તિ તથા મૂર્તિ પર ચડાવેલા આભૂષણોની કુલ ચોરી કરી હતી. આ ચોરીના ગુનાનો ભેદ વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી બેની ધરપકડ કરી છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામાં આવ્યો જતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર કિશોરની તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી. સગીરે કબૂલ કર્યું કે તેણે જ મંદિરમાંથી મેલડી માતાની ચાંદીની મૂર્તિ તથા બે હારની ચોરી કરી હતી અને તેને તેના મિત્ર જય હસમુખભાઇ ભીમાણી મારફતે પાદરાના આશીક રહેમત મલ્લીકને વેચી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ જય હસમુખભાઇ ભીમાણી (રહે. ભગવતનગર સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા, વડોદરા) તથા આશીક રહેમત મલ્લીક (રહે. કૃષ્ણાવાટિકા ફ્લેટ, મધર્સ સ્કૂલ રોડ, પાદરા, વડોદરા)ને શોધી કાઢી પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ છે કે આશીક મલ્લીકે ચોરીની મૂર્તિને ઓગાળીને ચાંદીની લગડી બનાવી લીધી હતી. પોલીસે મેલડી માતાની મૂર્તિ ઓગાળીને બનાવેલ ચાંદીની લગડી , ગાભાના આભૂષણ હાર , મોબાઈસહિત સ્કૂટર સહિતનો કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક સગીર અને બે આરોપીને ફતેગંજ પોલીસના હવાલે કર્યા છે. આ મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દ્વારકાની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે. આ કથા 8 એપ્રિલથી 14 એપ્રિલ, 2025 દરમિયાન યોજાશે. આ જ્ઞાનયજ્ઞ શ્રી શંકરાચાર્ય આશ્રમ, શ્રી શારદાપીઠ મઠ ખાતે દરરોજ બપોરે 4 થી 7 વાગ્યા સુધી ચાલશે. જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના પરમ પ્રિય શિષ્ય પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથા વ્યાસ તરીકે બિરાજશે. તેઓ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સચોટ રસપાન કરાવી શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કરશે. આ કથા દ્વારા સમગ્ર દ્વારકા નગરીમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થશે. શારદાપીઠ પરિવારે તમામ સનાતનધર્માનુરાગી અને ધર્મપ્રેમી જનતાને આ પાવન જ્ઞાનયજ્ઞમાં પધારી કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે જૂનાગઢ જિલ્લામાં મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પક્ષના પાયાના અને વફાદાર કાર્યકરોએ નેતાગીરી સામે બાયો ચડાવી છે. ખાસ કરીને વિસાવદર અને મેંદરડા વિસ્તારના સક્રિય કાર્યકરો દેવા મોરબીયા અને પુરુષોત્તમ વસાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રાજુ બોરખતરિયા પર ટિકિટોના સોદા કરવાના અને મનસ્વી રીતે ઉમેદવારો નક્કી કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. દેવા મોરબીયાએ કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, જ્યારે પુરુષોત્તમ વસાણીએ કહ્યું કે, વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી. ગઈકાલે પણ જુનાગઢ જિલ્લા એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે રાજુ બોર ખતરીયા અને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળોસૌથી વધુ વિવાદ વિસાવદર બેઠક પર જોવા મળી રહ્યો છે, જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર ગણાય છે. અહીં ઉમેદવારની પસંદગીને લઈ કાર્યકરોમાં ભારે રોષ છે. કાર્યકરોનો આરોપ છે કે, જેમણે પક્ષ માટે લોહી રેડ્યું છે તેવા વફાદાર લોકોની અવગણના કરવામાં આવી છે. જે સીટ પર 14 સક્રિય કાર્યકરોએ ટિકિટ માંગી હતી, તે તમામને પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો મચ્યો છે. જે વ્યક્તિએ ક્યારેય દાવેદારી પણ નોંધાવી નહોતી તેને પક્ષે ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં એવો મેસેજ ગયો છે કે પક્ષમાં સંગઠન કરતા 'સેટિંગ' વધુ ચાલી રહ્યું હોવાના ગંભીર રાક્ષકો કરવામાં આવ્યા છે. 'મન અને ધનથી કામ કર્યું, છતાં અવગણના કરવામાં આવી'વર્ષ 2018થી 'આપ' સાથે જોડાયેલા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 17માં ચારેય ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરનાર પુરૂષોત્તમભાઈ વસાણીએ જણાવ્યું કે, 'મેં ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયા માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. છેલ્લા 10 મહિનાથી મનોજ સોરઠીયાના માર્ગદર્શનમાં સંગઠન મજબૂત કર્યું, છતાં અંતે વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી.' પુરૂષોત્તમભાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમની નારાજગી આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો સામે નથી, પરંતુ જે રીતે ખોટા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થઈ છે તેની સામે છે. રાજુ બોરખતરિયા ટિકિટો 'વેચી' રહ્યાબીજી તરફ, મેંદરડા તાલુકાની આંબળા તાલુકા પંચાયત સીટના સહ-પ્રભારી દેવાભાઈ મોરબીયાએ કહ્યું, રાજુ બોરખતરિયા પક્ષને લોકશાહી ઢબે ચલાવવાને બદલે પોતાની 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે. દેવાભાઈએ વિડિયોમાં આરોપ લગાવ્યો છે કે રાજુ બોરખતરિયા લાયક ઉમેદવારને ટિકિટ આપવાને બદલે ટિકિટો 'વેચી' રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો પાયાના કાર્યકરોની આ રીતે જ અવગણના થશે તો 2026ની સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવતી હોવાનો આરોપઆ બંને કાર્યકરોએ પક્ષના પ્રદેશ નેતૃત્વ સામે પોતાની વાત મૂકી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા અને પ્રવિણ રામને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે. જો પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવે, તો સંગઠનમાં મોટું ભંગાણ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યાજૂનાગઢમાં જે રીતે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, તે જોતા આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે લડવાને બદલે આમ આદમી પાર્ટીએ પોતાના જ નારાજ કાર્યકરોને મનાવવામાં વધુ શક્તિ ખર્ચવી પડશે. કાર્યકરોનો સ્પષ્ટ સંદેશ છે કે તેમને પક્ષના પ્રતીક સામે વાંધો નથી, પરંતુ પક્ષમાં ઘૂસી ગયેલી 'વ્યક્તિગત મનમાની' અને 'ભ્રષ્ટ કાર્યપદ્ધતિ' સામે તેમનો જંગ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયોએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે પક્ષનું મોવડી મંડળ આ વિવાદને કઈ રીતે થાળે પાડે છે.
વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓ કરવામાં આવી હોવાથી તમામ કર્મચારીઓની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન અનુસરવાના માર્ગદર્શનો અને જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને બરદાશ્ત કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 25 ટકા કરતાં વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અને કાયદો ભંગ થવાના બનાવોને રોકી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ શાંતિ જાળવવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં યલો ઍલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કયા જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'? હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
સુરતના ઐતિહાસિક ગોપીપુરા વિસ્તારને તેની અસલ ભવ્યતા પરત અપાવવા અને 'ઊર્જા ભૂમિ'ના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમટી પડેલા 15,000 થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી હતી. ખાસ કરીને મહિલાઓએ સોનાના વધતા ભાવોની પરવા કર્યા વગર પોતાના કિંમતી આભૂષણો દાનમાં અર્પણ કરીને ભક્તિ અને ત્યાગનો નવો ઈતિહાસ રચ્યો છે. ચેન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ દાનપાત્રમાં પધરાવીકાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં દાન આપવા માટે ભારે હોડ જામી હતી. અનેક શ્રાવિકાઓએ હસતા મુખે પોતાના ગળામાંથી સોનાના ચેન, હાથની બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને આંગળીમાંથી હીરાની વીંટીઓ ઉતારીને દાનપાત્રમાં પધરાવી દીધી હતી. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન ત્યારે થયા જ્યારે અનેક મહિલાઓએ અત્યંત પવિત્ર ગણાતા મંગળસૂત્ર પણ 'ઊર્જા ભૂમિ'ના સંકલ્પ માટે અર્પણ કરી દીધા હતા. આ દ્રશ્યો જોઈ શ્રેષ્ઠીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગોપીપુરા 44 દેરાસરોની પવિત્ર ધરોહર'તળ સુરત'ની ઓળખ સમાન ગોપીપુરા વિસ્તાર 44 જૈન દેરાસરો ધરાવે છે. અમદાવાદ, વડોદરા અને સુરતના અગ્રણીઓના સહયોગથી આ વિસ્તારને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની પધરામણી અને નૃત્યોત્સવ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપીપુરાના જીર્ણોદ્ધારની સાથે ધાર્મિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. નવી પેઢીના સંસ્કારો અને ભવ્ય રથયાત્રાકાર્યક્રમની શરૂઆત એક આકર્ષક રથયાત્રાથી થઈ હતી, જેમાં વિવિધ પાઠશાળાઓના 1500 થી વધુ બાળકો મનોહર વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. આ દ્રશ્ય જૈન ધર્મના સંસ્કારોનું નવી પેઢીમાં સિંચન થતું હોવાની પ્રતીતિ કરાવતું હતું. બાળકોએ પણ પોતાના ગલ્લાની બચત આ ઉમદા કાર્ય માટે અર્પણ કરી વડીલોની સાથે ખભેખભા મિલાવ્યા હતા. 'સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી'સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે દાનની અપેક્ષા રાખી હતી, પણ આ રીતે સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી. મહિલાઓએ જે રીતે લાઈનો લગાવીને પોતાના ઘરેણાં આપ્યા છે તે સુરતના જૈન સમાજની ઉદારતા અને ધર્મ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આ દાનનો ઉપયોગ ગોપીપુરાના જીર્ણોદ્ધાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વેગ અને ધાર્મિક શિક્ષણ માટે કરવામાં આવશે. આ પ્રસંગે દરેક ભક્તને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગોપીપુરાની પવિત્રતાનો અનુભવ કરવા એકવાર ચોક્કસ મુલાકાત લે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ આવતા બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આજે બપોરે સનસનાટીભરી ઘટના બની હતી. ધોળેદહાડે 'ચંચલ જ્વેલર્સ' નામની દુકાનમાં લૂંટના ઇરાદે ત્રાટકેલા 3 અજાણ્યા શખસોએ માલિક પર ગોળીબાર કર્યો હતો. જોકે, માલિકે હિંમતભેર પ્રતિકાર કરતા લૂંટારુઓ લૂંટ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ખાલી હાથે ભાગી છૂટ્યા હતા. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હથિયાર સાથે 3 શખસ ત્રાટક્યાબપોરના સમયે જ્યારે બજારમાં લોકોની ચહલપહલ હતી, ત્યારે 3 શખસો હથિયારો સાથે ચંચલ જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં ઘૂસીને લૂંટારુઓએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે ડર્યા વગર લૂંટારુઓનો સામનો કર્યો અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. માલિકની આ બહાદુરી સામે લૂંટારુઓ ગભરાઈ ગયા હતા અને દુકાનમાંથી કોઈ પણ કિંમતી સામાન ચોર્યા વિના જ બહાર દોડી ગયા હતા. ભાગતી વખતે એક રાઉન્ડ ફાયરિંગદુકાનમાંથી નાસી છૂટતી વખતે લૂંટારુઓએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 જિલ્લામાં નાકાબંધી અને પોલીસ તપાસઆ ઘટના અંગે ચીખલી ડિવિઝનના DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અજાણ્યા શખસો લૂંટ કરવાના ઇરાદે જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા, પરંતુ પ્રતિકારને કારણે કોઈ ચીજવસ્તુની લૂંટ થઈ શકી નથી. ભાગતી વખતે આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા નવસારી જિલ્લા સહિત પાડોશી જિલ્લા વલસાડ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરાઈ છે.
કોંગ્રેસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનીફેસ્ટોમાં પક્ષે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રે, કોંગ્રેસે દરેક વોર્ડમાં પ્રાથમિક શાળા અને દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળા સ્થાપિત કરવાનું વચન આપ્યું છે. વધુમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે દરેક વોર્ડમાં લાઇબ્રેરી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે, મેનીફેસ્ટોમાં દરેક વોર્ડ દીઠ એક આરોગ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની વાત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે, પક્ષે સુરક્ષિત અને એસી સુવિધાવાળી હોસ્ટેલના નિર્માણની પણ જાહેરાત કરી છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, કોંગ્રેસે દરેક ઝોનમાં મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાનું પણ પોતાના મેનીફેસ્ટોમાં સમાવેશ કર્યો છે.
પાટણના ખાલકશાપીર રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજના નિર્માણ કાર્યમાં બેદરકારીને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૈરવ નગર સોસાયટી, પાટણના રહેવાસી અને ઊંઝા એસટી ડેપોમાં મિકેનિકલ તરીકે ફરજ બજાવતા દિપનકુમાર પ્રવીણકુમાર રાઠોડ 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે ખાલકશાપીર રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા. અંડરબ્રીજનું કામ ચાલુ હોવા છતાં, કોન્ટ્રાકટર દ્વારા સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે અવરજવર માટે યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. રાત્રિના અંધકારમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે દિપનકુમાર બે અંડરગ્રાઉન્ડ બેઝ વચ્ચેની જગ્યામાં અચાનક પડી ગયા. આ અકસ્માતમાં દિપનકુમારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના મિત્ર અર્પિત દરજીએ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણની જનતા હોસ્પિટલ પહોંચાડ્યા. તબીબી તપાસમાં તેમને ડાબા હાથની ચાર આંગળીઓ, જડબા, ડાબા ખભા અને જમણા પગના થાપાના ભાગે ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. તેમને માથામાં સામાન્ય હેમરેજ પણ થયું હતું. જનતા હોસ્પિટલમાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના હાથ અને જડબાના ઓપરેશન કરવામાં આવ્યા. લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા પછી, દિપનકુમારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 125(b) હેઠળ બેદરકારીથી ઈજા પહોંચાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એએસઆઈ જીગરકુમાર નટવરલાલ જોષીને સોંપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ સહિતના વિવિધ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે.જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરના તમામ ઢાબા, ટી સ્ટોલ, ખાણી-પીણીના સ્થળો, આંગડિયા પેઢીઓ અને મનોરંજનના સ્થળોએ હાઈ ડેફિનેશન (HD) અને નાઈટ વિઝન સુવિધાવાળા સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત કરવા પડશે. આ કેમેરા સિસ્ટમમાં ઓછામાં ઓછું એક માસનું બેકઅપ જળવાઈ રહે તેવા ડી.વી.આર. (ડિજિટલ વિડીયો રેકોર્ડર) રાખવા પણ ફરજિયાત છે.હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, શોપિંગ મોલ/કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, રેસ્ટહાઉસ, સોનીની દુકાનો, બેંકો અને ધર્મશાળાઓ/મુસાફિરખાના જેવા સ્થળોએ અંદર અને બહાર બંને જગ્યાઓ સંપૂર્ણપણે આવરી લેવાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે. વધુમાં, એક કેમેરો રોડ પરની અવરજવર અને પ્રવેશ-નિકાસના માર્ગોને સંપૂર્ણપણે આવરી લે તે રીતે સ્થાપિત કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડશે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ-223 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર બનશે.
છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળામાં મંગળવાર, 7 એપ્રિલ, 2026ના રોજ સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભોજન દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ (ભુવાજી) અને તેમના નાના ભાઈ કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ (કાંટાવાળા)નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. તેમની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. આ અવસરે દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ, કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ, શિક્ષક રાજુભાઈ પટેલ, અતુલભાઈ પટેલ અને ચેતનભાઈ મોદીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. શાળા પરિવારે દાતાઓના સેવાકીય કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દાતા પરિવારે સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કિરણભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય જયપ્રકાશ સથવારાએ દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ અને કાનજીભાઈ અરજણભાઈ દેસાઈની શાળાની જરૂરિયાતોમાં મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી. તિથિ ભોજન માટે છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આમંત્રિત કરાયા હતા. કાર્યક્રમ બાદ તમામ વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો.
હિન્દુ ધર્મ આચાર્ય સભાનું નવમું અધિવેશન બેંગ્લોરમાં:સનાતન ધર્મના સંરક્ષણ અને એકતા પર સંતોનું મંથન
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ માટે કાર્યરત 'હિન્દુ ધર્મ આચાર્ય સભા'નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે સંપન્ન થયું. આ અધિવેશનનું યજમાનપદ આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજે સંભાળ્યું હતું.આર્ષ વિદ્યામંદિરના સુપ્રસિદ્ધ સંત સ્વામી દયાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સ્થાપિત આ સભામાં ભારતભરના 200 વર્ષથી પણ વધુ જૂના વિવિધ સંપ્રદાયોના આશરે 90 જેટલા મૂર્ધન્ય ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્તમાનમાં આ સભાના સંરક્ષક તરીકે રમણ રેતી વૃંદાવનના સંત કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે. અધ્યક્ષ સ્થાને પંચદશનામ જુના અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર અવધેશાનંદજી મહારાજ અને કન્વીનર તરીકે આર્ષ વિદ્યામંદિર રાજકોટના અધ્યક્ષ પરમાત્માનંદજી મહારાજ સેવા આપી રહ્યા છે. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વી.એચ.પી.ના અધ્યક્ષ આલોકજી પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાંથી જામનગરના પ્રણામી સંપ્રદાયના વડા કૃષ્ણમણીજી મહારાજ, SGVP ના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ (ચંપારણ્ય પીઠ) અને સંતપંથ પ્રેરણાધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ – સન્યાસ આશ્રમ અમદાવાદ જેવા સંતોએ હાજરી આપી હતી.અધિવેશનમાં અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી. જેમાં નવી શિક્ષણ નીતિનું શાળા-કોલેજોમાં અસરકારક અમલીકરણ અને દેશભરના લાખો મઠ-મંદિરોની સરકારી નિયંત્રણ હેઠળની સંપત્તિને મુક્ત કરાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી.સંમેલનમાં 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની અભિનેત્રીઓ અને લવ જેહાદનો ભોગ બનેલી બહેનોએ પોતાની આપવીતી રજૂ કરી હતી. આ ઘટના બાદ હિન્દુ દીકરીઓની સુરક્ષા અને ઘરવાપસી જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવાનો નિર્ધાર કરાયો.ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના તમામ ધર્માચાર્યોએ પોતાના વ્યક્તિગત પ્રોટોકોલને બાજુ પર મૂકીને એકસૂત્રતા સાધી હતી. આ સભા હિન્દુ સમાજને સંગઠિત કરવા અને રાષ્ટ્રીય સમસ્યાઓના નિરાકરણ માટે ફળદાયી રહી.આદિ ચૂનચૂનગિરિ મઠના સંન્યાસીઓ, ઋષિકુમારો, સ્વયંસેવકો તથા આર્ષ વિદ્યામંદિરના સંન્યાસીઓ અને સંન્યાસીનીઓએ આ અધિવેશનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ મોડાસા, મેઘરજ અને માલપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે પવન ફૂંકાયો હતો. મોડાસા શહેર ઉપરાંત આનંદપુર કંપા, ખાલીકપુર, ટીંટોઇ, ઉમેદપુર, જીવણપુર સહિતના અનેક ગામોમાં તોફાની વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. હાલ પણ વાતાવરણમાં પલટો યથાવત છે અને વધુ વરસાદ પડવાની સંભાવના છે.
જૂનાગઢની પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર આગામી 14 મી એપ્રિલના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક અભૂતપૂર્વ અને યાદગાર ક્ષણ સર્જાવા જઈ રહી છે.આ વર્ષે બાબાસાહેબની શોભાયાત્રા માત્ર એક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતા, સામાજિક ન્યાય, સમાનતા અને ભાઈચારાનો એક મજબૂત મંત્ર બનીને ઉભરી આવશે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે દલિત, પછાત અને લઘુમતી સમાજના લોકો ખભેખભા મિલાવીને એકતા અને સમરસતાનો સંદેશ આપવા માટે રસ્તા પર ઉતરશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંવિધાનના મૂલ્યોનું જતન કરવું અને સમાજમાં વ્યાપ્ત અસમાનતા સામે એક થઈને અવાજ બુલંદ કરવાનો છે. આ ભવ્ય શોભાયાત્રાના સુચારુ આયોજન અને રણનીતિ ઘડવા માટે તાજેતરમાં કેવડાવાડી સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર છાત્રાલય ખાતે એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટર હસમુખભાઈ (ખોડાભાઈ) મકવાણા, જાણીતા એડવોકેટ અશોકભાઈ સોલંકી, ઓબીસી સમાજના પ્રખર નેતા બટુકભાઈ મકવાણા, મુસ્લિમ સમાજના આગેવાન સુહેલભાઈ સિદ્દીકી અને મધુર સોશિયલ ગ્રુપના સલીમભાઈ ગુજરાતી સહિતના અગ્રણીઓએ હાજર રહીને આ યાત્રાને સફળ બનાવવા માટેના સૂચનો આપ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે વર્તમાન સમયમાં બંધારણીય અધિકારોના રક્ષણ માટે તમામ પછાત અને લઘુમતી વર્ગોનું એક મંચ પર આવવું અનિવાર્ય છે. આ યાત્રાનો પ્રારંભ કેવડાવાડી ખાતે આવેલા ડૉ. ભીમરાવ આંબેડકર છાત્રાલયથી કરવામાં આવશે. પ્રારંભ પૂર્વે બાબાસાહેબની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચિત્તાખાના ચોક અને આઝાદ ચોક થઈને પસાર થશે. આ સમગ્ર માર્ગ પર વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાનું અંતિમ મુકામ કાળવા ચોક રહેશે, જ્યાં બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરી મહાઆરતી અને વિશિષ્ટ સંકલ્પ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે. અનુસૂચિત જાતિના અગ્રણી એડવોકેટ અશોક સોલંકીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર હસમુખભાઈ મકવાણાએ જે વિચાર રજૂ કર્યો છે તે ખરેખર ઉમદા અને સમયની માંગ છે. તેમણે કહ્યું કે જૂનાગઢમાં આપણે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોએ સાથે મળીને એક મહારેલીનું આયોજન કરવાનો જે નિર્ધાર કર્યો છે, તે આપણા સૌના સમાન પ્રશ્નોના નિરાકરણ માટેનો પ્રથમ સોપાન છે. આપણે એકબીજાને સહકાર આપીશું તો જ આપણા હક અને અધિકારોનું રક્ષણ કરી શકીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ લડત માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ આપણા બંધારણીય હકોને બચાવવા માટેની એક મોટી ચળવળનો ભાગ છે, જેમાં તમામ ભાઈ-બહેનોએ જોડાવું જોઈએ. મહાનગરપાલિકાના કોર્પોરેટર હરસુખભાઈ મકવાણાએ પણ તમામ જ્ઞાતિજનોને જાહેર આમંત્રણ આપતા જણાવ્યું હતું કે 14 મી એપ્રિલ એ માત્ર એક વ્યક્તિનો જન્મદિવસ નથી પણ કરોડો વંચિતો માટે આશાનું કિરણ છે. તેમણે જય ભીમ, નમો બુદ્ધાય ના નારા સાથે અપીલ કરી હતી કે આ વર્ષે અમે તમામ સમાજને સાથે લઈને રેલીનું આયોજન કર્યું છે. કેવડાવાડી છાત્રાલયથી શરૂ થનારી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને બાબાસાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડે તેવી મારી નમ્ર વિનંતી છે. આ આયોજન થકી આપણે સાબિત કરીશું કે જૂનાગઢનો દલિત અને ઓબીસી સમાજ હવે જાગૃત થયો છે. લઘુમતી સમાજના અગ્રણી સોહિલ સિદકીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બંધારણ ઉપર કોઈ પણ પ્રકારની આંચ કે કટોકટી આવતી હોય, ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે બહાર આવીએ.આ મહારેલીનો મુખ્ય હેતુ સમસ્ત સમાજની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો છે. જો આપણે એક હશું તો જ બંધારણ સુરક્ષિત રહેશે. ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, માઈનોરિટી સમાજે આ રેલીમાં મહત્તમ સંખ્યામાં જોડાઈને સામાજિક એકતાના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપવી જોઈએ. આ યાત્રા માત્ર કોઈ એક જ્ઞાતિ કે ધર્મની નહીં, પરંતુ બંધારણમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દરેક લોકોની યાત્રા બની રહેશે. શહેરના દરેક ખૂણેથી આવનારા લોકો કાળવા ચોક ખાતે જ્યારે એકત્ર થશે, ત્યારે તે દ્રશ્ય જૂનાગઢની ગંગા-જમના સરસ્વતી તહઝીબ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ પૂરું પાડશે. આયોજકો દ્વારા લોકોને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આહવાન કરવામાં આવ્યું છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનો 13 વર્ષનો પુત્ર 4 એપ્રિલના રોજ રાત્રે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉત્રાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં સગીરને કોસાડની એક નિર્માણાધીન સાઈટ પરથી સહી-સલામત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારે શોધખોળ કરી છતાં દીકરાનો પત્તો ન લાગ્યોઉત્રાણ ગામના રાજપૂત ફળિયામાં રહેતા વિક્રમભાઇ મુનિયાનો 13 વર્ષ અને 8 મહિનાનો પુત્ર ગત 4 એપ્રિલના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે અચાનક ગુમ થયો હતો. પરિવારે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં પુત્રનો કોઈ પત્તો ન લાગતા આખરે ઉત્રાણ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-137(2) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે CCTV ચેક કરી સગીરના લોકેશનની માહિતી મેળવીબાળક ગુમ થવાની ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ઝોન-5 DCP લખધીરસિંહ ઝાલાની સૂચનાથી પીઆઈ એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સગીરના ચોક્કસ લોકેશન અંગેની માહિતી મળી હતી. આ તપાસના આધારે પોલીસ ટીમ કોસાડ ગામમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝની નવી બનતી સાઇટ પર પહોંચી હતી, જ્યાંથી ગુમ થયેલા બાળક મળી આવ્યો હતો. પોલીસે સગીરનું પરિવાર સાથે મિલન કરાવ્યુંસહી-સલામત મળી આવેલા બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ પોલીસે તેને તેના માતા-પિતાને સોંપ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એન.જી. પટેલ, પીએસઆઈ આર.ડી. ધાધલ, પીએસઆઈ ડી.ડી. રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાનો લાડકવાયો પરત મળતા શ્રમિક પરિવારે સુરત પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
‘રીલ મુક્તિ કેન્દ્ર’ વિશેનો મીમ આજે નેટીઝન્સમાં ખૂબ ચર્ચામાં છે, અને સાચું કહીએ તો, તે હકીકતને ખૂબ નજીક છે. એક સર્વે મુજબ, Gen Z દિવસમાં ૧૫૦થી વધુ વખત ફોન ચેક કરે છે, જે સામાન્ય મર્યાદાથી ઘણું વધારે છે. સ્માર્ટફોનની લત હવે ચિંતા, બેચેની અને FOMO (Fear of Missing Out) જેવા લક્ષણો રૂપે દેખાઈ રહી છે. આથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે લગભગ ૫૬% લોકો ગેમિંગ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પૈકી ઓછામાં ઓછા એકમાં તો લતગ્રસ્ત છે; અને ૨૫% લોકો ફોન દૂર હોય ત્યારે Withdrawal symptoms અનુભવે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી લતને ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે: “જે વસ્તુ હોય ત્યારે આનંદ નથી આપતી, પણ ના હોય ત્યારે પીડા આપે — તે જ લત છે.” જ્યારે મન અને શરીર સ્ક્રીન સાથે જોડાઈ જાય છે, ત્યારે સૌથી પહેલા અસર ધ્યાન પર પડે છે. મગજ સતત નોટિફિકેશન, સ્ક્રોલિંગ અને ઝડપી રિવોર્ડ્સનો આદી બની જાય છે, અને એક વિચાર પર સ્થિર રહેવાની ક્ષમતા ઘટે છે. ડોપામિનના સ્તર વધે છે, પરંતુ આ આનંદ ટૂંકા સમય માટે જ રહે છે, જેનાથી બેચેની, ઉત્સાહમાં ઘટાડો અને ભાવનાત્મક થાક અનુભવાય છે. ઉંઘની રીત બગડે છે, આંખો અને ગળામાં તાણ રહે છે, અને નર્વસ સિસ્ટમ હંમેશા એલર્ટ સ્થિતિમાં રહે છે. સમય જતા ચિંતા વધે છે, બોર થવું સહન થતું નથી, અને શાંતિમાં રહેવું મુશ્કેલ લાગે છે. તો જ્યારે ડિજિટલ લાલચ વધે ત્યારે શું કરવું? 1. Switch Off to Switch On “ફોન આજકાલ પાણી જેવો છે — જરૂરી છે, પણ સતત ઉપયોગ જરૂરી નથી,” ગુરુદેવ કહે છે, સૂતા પહેલા ઓછામાં ઓછા ૨ કલાક ફોન બંધ રાખો અને સવારે ઉઠ્યા પછી પણ ૨-૩ કલાક ફોનથી દૂર રહો. આ તમારા મન અને નર્વસ સિસ્ટમને આરામ અને પુનઃઉર્જા મેળવવા માટે સમય આપે છે. 2. Craving- તીવ્ર ઇરછા ને સમજો ગુરુદેવ કહે છે: “ક્રેવિંગ એ આનંદની યાદનો પુનરાવર્તન છે.” સ્ક્રોલિંગ કે ગેમિંગથી મળતો આનંદ ક્ષણિક છે. આ સત્યને સમજતા જ, લાલચ ધીમે ધીમે ઓછી થાય છે. 3. Vow-પ્રતિજ્ઞા સાથે શરૂ કરો નાની અને શક્ય પ્રતિજ્ઞા લો: “આગામી ૭ દિવસ હું રાત્રે ૮ પછી ફોન ઉપયોગ નહીં કરું.” જો ભૂલ થાય, તો ફરીથી શરૂ કરો. આ આત્મનિયમ તમને આંતરિક શક્તિ આપે છે.
એચ.એ. કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો:મેગેઝીન 'ઉર્જા'નું વિમોચન, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ મહોત્સવ અને કોલેજ મેગેઝીન “ઉર્જા”નો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પોરીઆ અને અદાણી સ્કીલ ફાઉન્ડેશનના સીઈઓ જતીન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ડો. કિશોર પોરીઆએ જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો માટે ઘણી તકો ઉપલબ્ધ છે, જેનાથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. કાર્યક્રમના અતિથિ વિશેષ અદાણી સ્કીલ ફાઉન્ડેશનના સીઈઓ જતીન ત્રિવેદીએ સ્કીલ બેઝ્ડ કોર્ષીસ દ્વારા આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને સંબોધતા કહ્યું કે, ગળાકાપ હરીફાઈ, સોશિયલ મીડિયાનો પ્રભાવ અને વધુ પડતી અપેક્ષાઓને કારણે યુવાનો નિરાશ થાય છે. તેમણે યુવાવસ્થાથી જ લક્ષ્ય નક્કી કરીને સખત પરિશ્રમ અને સ્માર્ટ વર્ક દ્વારા ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, એનએસએસ, એનસીસી તથા સ્પોર્ટ્સમાં સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમારંભનું સંચાલણ પ્રો. મહેશ સોનારાએ કર્યું હતું, જ્યારે આભારદર્શન પ્રો. અનુરાધા પાગેદારે કર્યું હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજનમાં કેરીનો રસ, પૂરી, ખમણ, શાક અને પાપડનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનના આયોજનમાં દાતા શ્રી વર્ષાબેન શાહ અને રીંકુબેન પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ અને અશોકભાઈ દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના સંચાલકશ્રીનો પણ આ કાર્યક્રમમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
NIMCJ વિદ્યાર્થીઓએ વડનગરની મુલાકાત લીધી:ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો
NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કરવાનો હતો. વિદ્યાર્થીઓએ શાળા, બૌદ્ધ મઠ અને શહેરની હેરિટેજ વૉક જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો. તેમણે તાજેતરમાં જ શરૂ કરાયેલ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ અનુભવ કર્યો હતો.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને ખીચડી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તુલસી પાર્ક, ઝૂલતા મિનારા પાસે યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 221મો ખીચડી વિતરણ પ્રોજેક્ટ હતો, જેમાં શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી શ્રી જયેશ પરીખ, નિહારિકા પરીખ, મહેન્દ્ર પટેલ, જગદીશ પીલુચિયા, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
સુરત સાયબર ક્રાઈમ સેલે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા 'મિલન દરજી ગેંગ'ના 2 મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ દુબઈથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ્ડ સાયબર ક્રાઈમનું નેટવર્ક ચલાવતી હતી. પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે બેરીયો કાકડીયા અને વિશાલ ઉર્ફે ગોળી ગોધાણીનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ ગેંગના મુખ્ય સૂત્રધાર મિલન દરજી માટે બેંક એકાઉન્ટ કીટ મેળવવાથી લઈને દુબઈમાં ATM મારફતે નાણાં ઉપાડવા સુધીની મહત્વની ભૂમિકા ભજવતા હતા. દુબઈ કનેક્શન અને બેંક એકાઉન્ટનું મોટું નેટવર્કઆ કેસમાં પકડાયેલા પહેલા આરોપી મયુર ઉર્ફે બેરીયો કાકડીયાની ભૂમિકા અત્યંત ગંભીર છે. તે સીધો મુખ્ય આરોપી મિલન દરજી સાથે દુબઈમાં રહીને કામ કરતો હતો. મયુરનું મુખ્ય કામ ભારતના અલગ-અલગ બેંક એકાઉન્ટ્સના ATM કાર્ડ દ્વારા દુબઈમાં 'દિરામ' (UAE Currency) ઉપાડવાનું હતું. આ નાણાં તે મિલન દરજી સુધી પહોંચાડતો હતો. બીજી તરફ, બીજો આરોપી વિશાલ ગોધાણી સુરતમાં રહીને અગાઉ પકડાયેલા આરોપી અજય ઈટાલિયાના કહેવાથી અલગ-અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટની કીટો મેળવીને અજય અને જલ્પેશ નડીયાદરાને પૂરી પાડતો હતો. ચાઈનીઝ ગેંગ સાથે મળીને આચરતા હતા છેતરપિંડીતપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચાઈનીઝ ગેંગ સાથે મળીને ઇન્ટરનેશનલ લેવલ પર સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતી હતી. તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઓફિસ ભાડે રાખીને આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. ભારતીય નાગરિકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટ્સ મેળવી, આ એકાઉન્ટમાં ચાઈનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ ગેંગ એટલી હદે સક્રિય હતી કે ધરપકડ બાદ પણ તેમની ગેરકાયદે પ્રવૃતિઓ ચાલુ રહેતા પોલીસ દ્વારા GCTOC ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન મળી આવ્યો ટેકનોલોજીનો ખજાનોસાયબર ક્રાઈમ સેલે જ્યારે મોટા વરાછા સ્થિત સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ પાડી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઓફિસ અને આરોપીઓના ઘરેથી સર્ચ દરમિયાન 28 મોબાઈલ ફોન, 86 ડેબિટ કાર્ડ અને 180 બેંક પાસબુક મળી આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી 30 ચેકબુક, 258 જેટલા વિવિધ કંપનીના સિમકાર્ડ, 7 હિસાબની ડાયરીઓ, 1 કોમ્પ્યુટર, 1 CPU અને 1 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનેરા બેંકના 261 જેટલા એકાઉન્ટ્સમાં નેટ બેંકિંગ દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું જણાયું હતું. GCTOC હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહીઆરોપીઓ દ્વારા આચરવામાં આવતો ગુનો સંગઠિત અપરાધની શ્રેણીમાં આવતો હોવાથી 'ધ ગુજરાત કંટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015' (GCTOC) ની કલમ 3(1)(2), 3(2) અને 3(4) મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો દેશના નિર્દોષ નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમ આચરતા હતા. છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આ બે સાગરીતો પકડાતા હવે ગેંગના અન્ય નેટવર્ક પરથી પણ પડદો ઊંચકાશે. અગાઉ 14 જેટલા આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડમિલન દરજી ગેંગ વિરુદ્ધની આ તપાસમાં સુરત પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અજય ઈટાલિયા, જલ્પેશ નડીયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળીયા અને બ્રિજેશ ઈટાલિયા જેવા મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અલગ-અલગ વ્યવસાયો જેવા કે લોન કન્સલ્ટન્સી, નોકરી કે બાંધકામની આડમાં આ રેકેટમાં જોડાયેલા હતા. સાયબર ક્રાઈમ સેલ હવે આ ગેંગના અન્ય નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે ઊંચાઈ પર ગોઠવવામાં આવેલી સીન્ટેક્સની વિશાળ પાણીની ટાંકી અચાનક નીચે પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નીચે પાર્ક કરેલી એક ઇકો ગાડીનો કુરચો બોલાઈ ગયો હતો, પરંતુ સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. હોસ્પિટલના માળખાકીય ફિટિંગમાં ખામીને કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પાણીની ટાંકી ધડાકાભેર નીચે કાર પર પડીહોસ્પિટલ બિલ્ડિંગ પર સ્થિત પાણીની ટાંકી અચાનક ધડાકાભેર નીચે પડતા ટાંકીના વજન અને પાણીના પ્રચંડ ફોર્સને કારણે નીચે ઉભેલી ઇકો ગાડીના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અણધારી ઘટનાથી દર્દીઓના સગા અને હોસ્પિટલ સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટાંકીના લોખંડના સ્ટ્રક્ચર અથવા ફિટિંગમાં રહેલી ખામી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશઆ દુર્ઘટનાએ હોસ્પિટલના માળખાકીય મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો આ ટાંકી ચાલુ અવરજવર દરમિયાન કોઈ વ્યક્તિ પર પડી હોત તો પરિણામ જીવલેણ હોત. લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે હોસ્પિટલના તમામ જોખમી સ્ટ્રક્ચરનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરવામાં આવે.
પૂર્વ અમદાવાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વડીલો અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગને સહાય પૂરી પાડી તેમની રોજિંદી જરૂરિયાતોને સરળ બનાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અનેક વડીલો અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું. આ કીટમાં અનાજ, તેલ, દાળ, ચોખા અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રીનો સમાવેશ થતો હતો. સ્વયંસેવકોએ સુવ્યવસ્થિત રીતે રાશનનું વિતરણ સુનિશ્ચિત કર્યું. ફાઉન્ડેશનની આ પહેલ સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડીલો માટે આ સહાય ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણા વડીલોને પોતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સેવાકીય કાર્યો સમાજમાં જરૂરિયાતમંદોને સીધી મદદ પૂરી પાડે છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિઓ સામાજિક સેવાના ક્ષેત્રમાં એક સકારાત્મક યોગદાન છે.
ઝુંડાલમાં સ્વધા ફાઉન્ડેશને ડ્રોઇંગ સ્પર્ધા યોજી:વંચિત 45 બાળકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા
ઝુંડાલમાં સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા વંચિત બાળકો માટે એક ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 45 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે, 16 બાળકોને ગોલ્ડ મેડલ અને 29 બાળકોને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર વિતરણ સમારોહ મુખ્ય અતિથિ શ્રી સુરેશ ક્રિશ્ચિયન અને કોર્પોરેટર જસવંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી સંદીપ શ્રીવાસ્તવ અને સચિવ શ્રી બી.આર. પાંડે દ્વારા વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 42 થી 45 વર્ષીય લાભુબેન શૈલેષભાઈ બારૈયાએ પારિવારિક ઝઘડાથી વ્યથિત થઈ કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ગત રોજ મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ આજે સવારે તેમનો મૃતદેહ નદીમાં તરતો મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ઉત્રાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી નદીમાં તરતી લાશ લોકોને નજરે પડીઆજે સવારે અંદાજે 10 વાગ્યાના અરસામાં કાપોદ્રા બ્રિજ પરથી મોટા વરાછા તરફ જતા રસ્તા પર તાપી નદીના પાણીમાં એક મહિલાની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોના નજરે પડ્યું હતું. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડ કંટ્રોલ વિભાગને જાણ કરવામાં આવતા જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી તેનો કબજો પોલીસને સોંપ્યો હતો. પારિવારીક ઝઘડામાં માઠું લાગતા ઘરેથી નીકળી ગયાપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક મહિલા કાપોદ્રાની આદર્શ સોસાયટીમાં રહેતા હતા. ગત રોજ તેમને પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેનું માઠું લાગી આવતા તેઓ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ આખી રાત તેમની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે તેમના આપઘાતના સમાચાર મળ્યા હતા. મહિલાના ભાઈએ મૃતદેહની ઓળખ કરીઘટનાની જાણ થતા વરાછા રોડ પરની નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા મહિલાના ભાઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ કાપોદ્રા પોલીસે મૃતદેહનો કબજો ઉત્રાણ પોલીસને સોંપ્યો છે, કારણ કે ઘટના સ્થળની હદ ઉત્રાણ પોલીસ મથકમાં આવતી હોવાથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહેસાણા મનપાની રચના બાદ સીમાંકન અને વિકાસના નક્શાઓને લઈ વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઉચરપી ગામ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા તાવડીયાના ગ્રામજનોએ પણ મનપાની આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના ગામમાં બેનર લગાવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. આ વિરોધનું મુખ્ય કારણ નવા સૂચિત રિંગ રોડ, ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો ભય છે. તાવડીયા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, મહેસાણાના વિકાસ માટે તૈયાર કરાયેલા પ્લાનમાં અધિકારીઓએ ઓફિસમાં બેઠા-બેઠા અણઘડ આયોજન કર્યું છે. ગામની આસપાસ 80 મીટર, 30 મીટર અને 24 મીટર જેવા અનેક નાના-મોટા રસ્તાઓ દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે 200થી વધુ પરિવારોની ખેતીલાયક જમીન અને રહેણાંકના પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે બેથી પાંચ વીઘા જેવી મર્યાદિત જમીન છે, જેમાં ટીપી સ્કીમ હેઠળ 40 ટકા કપાત થતા તેમની પાસે પશુપાલન અને ખેતી માટે કંઈ જ બાકી રહેશે નહીં. ખાસ કરીને 80 મીટરના રિંગ રોડને કારણે અનેક ખેડૂતોના પાણીના બોર અને પિયતની લાઈનો નાશ પામશે, જેની સીધી અસર ગામના લાખો લિટર દૂધના ઉત્પાદન પર પડશે. ગામના સ્થાનિક ફલજીભાઈએ જણાાવ્યું હતું કે ગામની નજીકમાં બિલકૂલ બાયપાસ જોઈએ નહીં. અમારા ગામની જમીન જાય એમ છે અને ખેતીનો વ્યવસાય પડી ભાંગે એમ છે. કોઈ પાર્ટીને ગામમાં આવવા દેવાના નથી. એટલે અમારે ચૂંટણીનો પૂરો બહિષ્કાર છે. ખેડૂત અગ્રણી સંગ્રામભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સરકારને વિનંતી કરતા જણાવ્યું છે કે, આ આડેધડ રસ્તાઓના આયોજનથી ખેડૂતોની મહામૂલી જમીન, પિયતના બોર અને પાઈપલાઈન નષ્ટ થશે. જેના કારણે ગામનું લાખો લિટર દૂધ ઉત્પાદન ઠપ્પ થઈ જશે અને સેંકડો પરિવારો બેરોજગાર બની જશે. 40 ટકા કપાતના કાયદા સામે વાંધો ઉઠાવતા ખેડૂતોએ માંગ કરી છે કે 80 મીટરના રિંગરોડને શામળાજી-રામપુરા ચોકડીથી ફતેપુરા તરફ ડાયવર્ટ કરવામાં આવે જેથી ખેતી બચાવી શકાય. જો અધિકારીઓ દ્વારા ઓફિસમાં બેઠા તૈયાર કરાયેલા આ 'અણઘડ' પ્લાનમાં સુધારો કરી ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે, તો નવા જોડાયેલા 25 ગામોને સાથે રાખીને આગામી સ્થાનિક ચૂંટણીઓ, 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણીના બહિષ્કાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિજયભાઈ જણાવ્યું હતું કે જમીનો અમારી પાસે બહુ ઓછઈ છે. મુખ્યવ્યવાસ પશુપાલન અને ખેતી છે. જીવાદોરી સમાન છે. રોડ નજીક આવે તો ઘર ક્યાં બનાવવા અને ખેતી માટે ક્યાં જવું. તો દૂર લઈ જઈ તો નગરપાલિકાનું અને ગામનું સચવાય જાય. અમારો ખોટો વિરોધ નથી. કાયદેસર ભારતના નાગરિક તરીકે રજૂઆત કરીએ શકીએ. ચાર કે પાંચ રોડ આવે છે. ટીપી સ્કીમ અને ભારતમાલાનો રોડ ગામની બાજુ આવે છે. એટેલ નુકસાન થાય છે જંત્રી ઓછી હોવાના કારણે વળતર કાંઈ ખાસ મળે એમ નથી.
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓને કારણે દાહોદ જિલ્લામાં તા. 01/04/2026 થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ચૂંટણી અન્વયે આગામી તા. 26/04/2026 ના રોજ મતદાન અને તા. 28/04/2026 ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. 30/04/2026 સુધીમાં પૂર્ણ થનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર શાંતિ અને સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ અધિક્ષકશ્રી, દાહોદની દરખાસ્તને ધ્યાને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ મંજૂરી વિના મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર નિયંત્રણો લાદવાની આવશ્યકતા જણાતા આ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ (GAS) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 37(3) હેઠળ મળેલી સત્તાની રૂએ દાહોદ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. 06/04/2026 થી તા. 20/04/2026 ના 24:00 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ અનઅધિકૃત રીતે એકત્રિત થવું, કોઈપણ પ્રકારની સભા ભરવી કે સરઘસ કાઢવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, આ હુકમમાંથી કેટલીક આવશ્યક સેવાઓ અને પ્રસંગોને મુક્તિ આપવામાં આવી છે. સરકારશ્રીના વિભાગો દ્વારા આયોજિત કાર્યક્રમો, સરકારી કે અર્ધ-સરકારી ફરજ પરના કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોને આ આદેશ લાગુ પડશે નહીં. આ ઉપરાંત, સામાજિક પરંપરા મુજબ નીકળતી સ્મશાનયાત્રાઓ અને લગ્ન વરઘોડાને પણ આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જાહેરનામાના ભંગ બદલ કડક શિક્ષાત્મક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આ હુકમનો અનાદર કરનાર કે તેમાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(3) મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી જેમાં વોર્ડ 8માં મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા મહિલા ઉમેદવાર ઊર્મિલા પરમારના સસરાનું નિધન થતાં તેઓએ ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે અને આ અંગે શહેર પ્રમુખને લેખિત આપ્યું છે. યાદી જાહેર થયાના બે કલાક પહેલા જ સસરાનું નિધનકોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં વોર્ડ 8માં મહિલા ઉમેદવાર તરીકે ઊર્મિલા પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ યાદી જાહેર થયાના બે કલાક પૂર્વે જ તેઓના સસરા કે જેઓ હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાના કારણે સારવાર લઈ રહ્યા હતા તેઓનું નિધન થયું હતું. જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. અંતિમ ક્રિયા દરમિયાન ચૂંટણી પ્રચાર ન થાય તેથી નિર્ણયહિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૃત્યુના તેરમાં દિવસ સુધી અલગ અલગ વિધિ ચાલે છે જેના કારણે ઊર્મિલાબહેને તેઓના પરિવારમાં રહેવું અનિવાર્ય બન્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ પ્રચાર પણ ન કરી શકે તેના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ તેઓ માટે પરિવાર છે પરંતુ હાલમાં તેઓના પરિવારને તેઓની જરૂર છે જેથી તેઓની રજૂઆત અમે ધ્યાનમાં રાખી છે. તેઓના પરિવારમાંથી કોઈને ઉમેદવારી અપાશેશહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી તેઓના પરિવારના જ કેટલાક સભ્યોના નામ આપ્યા છે તે અંગે ચર્ચા વિચારણા કરી નામ જાહેર કરવામાં આવશે. ઉર્મિલા પરમારના સસરા કરોડિયા ગામના સરપંચ રહી ચૂક્યા છે તેઓના પતિ પણ ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે, ત્યારે તેઓનો આખો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે, આ દુઃખદ સમયમાં કોંગ્રેસ પણ તેઓની સાથે છે એમ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું. આગામી એક બે દિવસમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે તેમાં તેઓના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરીશું.
અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીનનો મામલો વધુ એકવાર સપાટી પર આવ્યો છે. મંદિર ટ્રસ્ટના કર્તાહર્તાઓએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જ અંદાજિત 60 કરોડની કિંમતની જમીન એક મુસ્લિમ વેપારીને વેચી નાખી હોવાનો સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આક્ષેપ કરાયો છે. જગન્નાથ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી હોય ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ આ વિવાદ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, જમીનનો મામલો હાલ કોર્ટમાં છે. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે. 28 હજાર વાર જમીન મંજૂરી વિના વેચી નખાયાનો આક્ષેપસામાજિક કાર્યકર અતુલ દવેએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1992માં બહેરામપુરા સર્વે નંબર 138ની જમીન આપવામાં આવી હતી. લગભગ 1.5 લાખ ચોરસ વાર જમીન જેની કિંમત 450 કરોડ રૂપિયા થાય છે. આ જમીનનો બારોબાર વહીવટ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જમીન પૈકી એક જમીનનો 28,000 ચોરસ વાર રૂ. 60 કરોડ જેની બજાર કિંમત છે તેને વર્ષ 2018માં માત્ર સાત કરોડ રૂપિયામાં તેને આપી દેવામાં આવી છે. પાછલા બારણે કોઈપણ પ્રકારની મંજૂરી વિના આ જમીનને વેચવાનો પેતરો કરવામાં આવ્યો છે. જે જમીન આપવામાં આવી છે તેમાં 28,000 ચોરસ વાર જમીનને 2018માં આપવામાં આવી હતી. મુસ્લિમ વ્યક્તિને જે જમીન વેચવામાં આવી તેમાં દિલીપદાસજીએ સહી કરી છે ત્યારે તેઓએ સહી કરતા પહેલા વિચારવું જોઈએ કે જે કાગળમાં સહી કરી રહ્યા છો. એક મુસ્લિમ વ્યક્તિને જમીન આપી છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. વધુમાં તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, જમીનનો સોદો માત્ર સાત કરોડમાં જ થયો છે પરંતુ 45 કરોડમાં સોદો થયો હોવાનું જાણવા મળ્યું છે અને 38 કરોડ રૂપિયા બ્લેકમાં લીધા છે. જે જમીન આપવામાં આવી છે તે મૂળ ઉસ્માન ઘાંચી નામના વ્યક્તિ જેઓ H.S. HOTELVALA ના માલિક છે. મુખ્ય ભૂમિકા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની છે મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગઆ બાબતે મંદિરના વહીવટકર્તા અને ગુજરાત સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે કોઈપણ પ્રકારની રજૂઆતને સાંભળવા માટે તેઓ તૈયાર નથી. હિન્દુ હિત અને મંદિરના હિતમાં જે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. જે કૌભાંડીઓ મંદિર ઉપર કબજો જમાવીને બેઠા છે તેમને કાઢી મૂકવામાં આવે તેમજ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ કરી છે. જમીન કૌભાંડની તપાસ SIT દ્વારા કરવાની પણ માંગ કરીએ છીએ. જેના માટે અમે વડાપ્રધાનને પત્ર લખીએ છીએ. લાખો લોકો આ પત્ર લખીને વડાપ્રધાનને મોકલશે. જગન્નાથ મંદિર બચાવોનું કેમ્પેન અમે કરી રહ્યા છીએ. જમીનના સોદાથી મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો દાવોઅમારો એક માત્ર આશય છે કે જે આ કૌભાંડ થયું છે. એમાં કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે તેમજ મંદિરને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તે ભરપાઈ કરવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે. જમીનનો વર્ષ 2018 માં દસ્તાવેજ કરવામાં આવ્યો હતો જેમાં ખરીદનાર તરીકે યાસીનભાઈ ઘાંચી અને વેચનાર તરીકે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ છે આ સોદાથી મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
'દિવ્ય ભાસ્કર' દ્વારા 6 એપ્રિલના રોજ વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસમાં વ્યાપેલી અસહ્ય ગંદકી અને ડ્રેનેજની ગંભીર સમસ્યાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તંત્ર જે કામ મહિનાઓથી ટાળી રહ્યું હતું, તે અહેવાલના 24 કલાકમાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે 7 એપ્રિલે વહેલી સવારથી જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે મેદાને ઉતર્યા હતા. અહીં વહેલી સવારે સફાઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે કમિશનર એમ નાગરાજન દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરી હતી અને તે સફાઈ કરતા કર્મચારીઓને પણ ખબર ન હતી. કમિશનર દ્વારા આ વિસ્તારનું જાતે નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. એનજીઓની ટીમે પણ માઇક દ્વારા લોકોને કચરો કચરા ગાડીમાં નાખવા અને ગંદકી ન કરવા સમજાવ્યા હતાં. ચોકઅપ થયેલી ગટરોની જેટીંગ મશીન દ્વારા સફાઈ વડોદ આવાસમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યને સાફ કરવા ખાસ 4 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 105 સફાઈ કર્મચારીઓનો સમાવેશ કરાયો હતો. ચોકઅપ થયેલી ગટરોને જેટીંગ મશીન દ્વારા સાફ કરવામાં આવી હતી, જેથી ગંદુ પાણી રસ્તા પર વહેતું બંધ થાય. આ સફાઈ ઝુંબેશ દરમિયાન ગંદકી ફેલાવતા 11 લોકો પાસેથી ₹11,500નો દંડ વસૂલવામાં આવ્યો છે અને સાત લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે. અમે આજે 3 આવાસ કવર કરવાના છીએઃ ડો. કિંજલ પટેલઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે. કમિશનર સરની જે ઇન્સ્ટ્રક્શન છે તે પ્રમાણે અમે સફાઈ કરી રહ્યાં છીએ. ઓલમોસ્ટ 105 સફાઈ કામદારોની ચાર ટીમ બનાવીને ત્રણ આવાસો અમે આજે કવર કરવાના છીએ. આવાસમાં રહેતા લોકોની પણ જવાબદારી બને છે કે મેન્ટેનન્સ અને સફાઈ રાખે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, ગાડીઓ આવે છે, પણ કચરો નાખવામાં લોકોના આવતા નથી. બધા નોકરિયાત વર્ગ છે અને કચરા ગાડીનો સમય અનુકુળ ન લાગતા બહાર નાખી દે છે અને એને લીધે ગંદકીનો પ્રોબ્લેમ રહે છે. ‘લોકોને કચરો ગાડીમાં જ નાખવા અપીલ’આ જે ડાઉનટ્રેક પાઈપ છે એ બધા તૂટી ગઈ છે, જેને રિપેર કરવા માટે નોટિસો આપી છે. જનતાને ખાસ એટલી અપીલ છે કે કોર્પોરેશનનું જે કામ છે એમાં સપોર્ટ કરે. કચરાની ગાડી આવે છે તો કચરાનો નિકાલ કચરાની ગાડીમાં જ થાય. સમયનો ફેર પડતો હોય તો તમારો કચરો તમારી પાસે એક દિવસ રાખી શકો છો અને બીજા દિવસે ગાડીમાં જ નાખી શકો છો, પણ બહાર નાખવો નહીં. આપણે સુરતને સ્વચ્છ અને સુંદર રાખીએ તેવી પબ્લિકને અમારી અપીલ છે. કેટલાક લોકો ઉપરથી કચરો ફેંકતા હોવાની પણ ફરિયાદસફાઈ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા કેટલાક અંશે ગંદકી પાછળના કેટલાક સ્થાનિક લોકો જ હોવાનું બહાર આવ્યું હતું. અહીં ચાર માળના બિલ્ડિંગો આવેલા છે. રહીશોના જણાવ્યા અનુસાર, બીજા, ત્રીજા અને ચોથા માળના રહીશો આળસને કારણે સીધો જ કચરો ગેલેરી કે બારીમાંથી નીચે ફેંકે છે, જેના કારણે નીચે રહેતા લોકો અને પસાર થતા રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે. કચરા પેટીની પણ ચોરીમહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ગાડી સવારે નિશ્ચિત સમયે આવે છે, પરંતુ અનેક લોકો એ સમયે જાગતા નથી અથવા ગાડી પાસે જવાની તસ્દી લેતા નથી. પરિણામે, જ્યારે ગાડી જતી રહે છે, ત્યારે તેઓ રસ્તા પર કે ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકી દે છે. કચરા ગાડીનો સમય સેટ ન થતો હોવાની ફરિયાદો બાદ તંત્રએ મોટા ડ્રમ મૂક્યા હતા, પરંતુ અસામાજિક તત્વો એ ડ્રમને પણ ચોરી ગયા છે.
ચૂંટણી આવે એટલે જોડ તોડનું રાજકારણ શરૂ થાય. કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તે સ્વાભાવિક છે, ત્યારે આજરોજ વડોદરાના વેમાલી ગામના પૂર્વ સરપંચ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તેઓ 35 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા જેઓએ આજે કોંગ્રેસનો ફેસ ધારણ કર્યો હતો. વડાપ્રધાને ધુરા સોંપીને વર્તમાન શાસકોએ વિનાશ વેર્યોકોંગ્રેસમાં જોડાનાર વેમાલીના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે, હું 35 વર્ષથી ભાજપનો સૈનિક રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાયા બાદ વર્તમાન શાસકોને ધુરા સોંપી ત્યાર બાદ આ લોકોએ વિકાસને વિનાશમાં પરિવર્તિત કરી દીધો છે. અમારા વિસ્તારમાં પાણી માટે અનેકવિધ રજૂઆત કરી છે છતાં પણ શાસકો દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં કેટલોક ભાગ વાઘોડિયા વિધાનસભામાં લાગે છે તો કેટલાક ભાગ સયાજીગંજ વિધાનસભામાં લાગે છે જેથી ધારાસભ્યો પણ કોઈ ધ્યાન આપતા નથી. છેવટે કંટાળીને મેં કોંગ્રેસમાં આવવાનું પસંદ કર્યું છે. અમદાવાદના પૂર્વ મેયર તમામને આવકાર્યાઅમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલે કોંગ્રેસમાં જોડાનાર તમામ કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. શહેર પ્રમુખ ઋત્વિજ જોષી તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં આ તમામ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટેના ધ્યેય સાથે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. નિલેશ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરીવેમાલી ગામના પૂર્વ સરપંચ નિલેશ પટેલે જો કોંગ્રેસ ટિકિટ આપે તો કોર્પોરેશનની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગી દ્વારા આગામી એક બે દિવસમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે ત્યારે હાલમાં જે લોકો રહી ગયા છે તેઓ પણ આશાવાદી બન્યા છે અને પોતાનું નામ જાહેર થાય તેવી સંભાવનાઓ જોઈ રહ્યા છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા 14 થી 15 વર્ષની 14 દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાન હાલ ચાલુ છે. આરોગ્ય કેન્દ્રના સીએચઓ મમતાબેન પરમાર, મહિલા આરોગ્ય કાર્યકર સરોજબેન ઠાકોર, આરોગ્ય કાર્યકર મહેશભાઈ પ્રજાપતિ અને આશા બહેનો પદ્માબેન વ્યાસ, વીરીબેન રાવલ, આશાબેન ચાવડા, મંજુલાબેન વાઘેલા દ્વારા ગામમાં રસીકરણ માટે પાત્ર દીકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 27 દીકરીઓની નોંધણી થઈ હતી. નોંધાયેલી 27 દીકરીઓમાંથી 14 દીકરીઓને કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને મેડિકલ ઓફિસર રશ્મિકાબેન પટેલની ઉપસ્થિતિમાં રસી આપવામાં આવી હતી. બાકીની 13 દીકરીઓના પરિવારજનોને રસીકરણ માટે સમજાવવામાં આવી રહ્યા છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફે જણાવ્યું હતું કે, બાકી રહેલી દીકરીઓનું પણ ટૂંક સમયમાં રસીકરણ થાય તે માટે પ્રયાસો ચાલુ છે.
ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી ₹23 કરોડના ખર્ચે બનેલા ચાર માર્ગીય રોડની કામગીરી અધૂરી છે. એક વર્ષ વીતી ગયા છતાં જરૂરી સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ્સ ન હોવાથી રાત્રિના સમયે અંધારું છવાયેલું રહે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે. ઉપરાંત, સ્પીડ બ્રેકરના અભાવે પૂરઝડપે દોડતા ખનીજ માફિયાઓના ડમ્પરો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. માર્ગ પર આવેલા ત્રણ મુખ્ય નાળાઓને યોગ્ય રીતે પહોળા કરવામાં આવ્યા નથી અને ત્યાં કોઈ બેરીકેટ્સ પણ મુકવામાં આવ્યા નથી. આને કારણે અનેક વાહનચાલકો ખાડામાં પટકાઈ રહ્યા હોવાના બનાવો નોંધાયા છે. સ્થાનિકોના મતે, આ માર્ગ નવા ભરૂચના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમ છતાં, તંત્ર દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને વહેલી તકે રોડની બાકી કામગીરી પૂર્ણ કરવા, સ્ટ્રીટ લાઇટ, સ્પીડ બ્રેકર અને નાળાઓ પર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતોને અટકાવી શકાય.
વાપી GIDCની શાહ પેપર મિલમાં આગ લાગી:ફાયરકર્મીઓએ કલાકો જહેમત કાબૂ મેળવ્યો, કૂલિંગ પ્રોસેસ ચાલુ
વાપીની ઔદ્યોગિક વસાહતમાં આવેલી શાહ પેપર મિલમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર મિલ પરિસર તેની ઝપેટમાં આવી ગયું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મિલના કર્મચારીઓએ શરૂઆતમાં જાતે જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાઈ જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાને કારણે ફાયરકર્મીઓને કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. લાંબી મથામણ બાદ આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ કૂલિંગ કામગીરી હજુ પણ ચાલુ છે. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. જોકે, આગના કારણે મિલને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું છે. મશીનરી, કાચો માલ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. હાલ પ્રશાસન અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી છે. આને કારણે આણંદ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી ચૂંટણી શાખા સામાન્ય દિવસોની સરખામણીમાં હાલ ચોવીસ કલાક અને જાહેર રજાના દિવસોમાં પણ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીથી ધમધમી રહી છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણી શાંતિપૂર્ણ અને સરળતાથી સંપન્ન થાય તેમજ વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી શાખા કાર્યરત છે. ચૂંટણી શાખા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઉમેદવારો, નાગરિકો અને ચૂંટણી તંત્ર વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે. આણંદ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી આ જિલ્લા ચૂંટણી શાખામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછૂનની દેખરેખ હેઠળ એક મામલતદાર, ત્રણ નાયબ મામલતદાર, બે ક્લાર્ક, બે ઓપરેટર અને બે પટાવાળા સહિતનો સ્ટાફ જાહેર રજાઓ અને સામાન્ય દિવસોમાં મોડી રાત સુધી કામ કરી રહ્યો છે. આ શાખા ચૂંટણી સંબંધિત રેકોર્ડની જાળવણી, મતપેટીઓ, EVM, બેલેટ પેપર અને અન્ય ચૂંટણી સામગ્રીનું વ્યવસ્થાપન કરે છે. તેમાં નોડલ અધિકારીઓ, મતદાન અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરો સહિતના ચૂંટણી સ્ટાફની નિમણૂક, ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલો મોકલવા, ચૂંટણીલક્ષી તાલીમ આપવી અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ન્યાયી તથા નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ નોડલ અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવે છે અને નિયમિત બેઠકો યોજાય છે. MCMC સેન્ટરના સહયોગથી પેઈડ ન્યૂઝ પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ મતદાન જાગૃતિ (SVEEP) કામગીરીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી શરાફી મંડળીનું આધુનિકીકરણ:તમામ સેવાઓ થઈ ઓનલાઇન
માનનીય કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના વરદ હસ્તે ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સહકારી શરાફી મંડળીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અને ક્રેડિટ સોસાયટી તથા સ્પોર્ટ્સ ક્લબના પુનઃ નિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના કાયમી કર્મચારીઓમાં પરસ્પર સહકાર થકી બચતની ઉમદા ભાવના વિકસે એ હેતુથી તા.01/07/1972માં ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સહકારી શરાફી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળી દ્વારા નિયમિત માસિક બચત, બે પ્રકારની લોન, વાર્ષિક ડિવિડન્ડ, ભેટ સોગાદ અને સભાસદોના બાળકોને શૈક્ષણિક પુરસ્કારો થકી નવાજવાનું ઉમદા કામ કરવામાં આવે છે. નેક એ ગ્રેડ ધરાવતી ગુજરાત યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટી પોતાના આર્થિક વ્યવહારો માટે એ ગ્રેડ ઓડિટ વર્ગ ધરાવે છે. જે પોતાની સન્માનજનક આર્થિક સ્થિતિ દર્શાવે છે. હાલના સમયમાં આર્થિક વ્યવહારોમાં અનેક નવોન્મેષ જોવા મળે છે ત્યારે છેલ્લા 54 વર્ષથી કાર્યરત ક્રેડિટ સોસાયટીએ પણ પોતાના તમામ આર્થિક વ્યવહારો અને કામગીરીને ડિજિટલ કરવા માટે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટી અને સ્પોર્ટ્સ એન્ડ રિક્રીએશન ક્લબની ઑફિસનું રિનોવેશન કરી તેની સુવિધાઓમાં વધારો કરવામાં આવેલ છે. આ કર્મચારી કલ્યાણલક્ષી પ્રકલ્પોને તા.06/04/2026 સોમવારના રોજ સાંજે 5 વાગ્યે સેનેટ હોલ ખાતે ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા અને કા. કુલસચિવ ડૉ. પી.એમ.પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પુનઃ નિર્મિત મંડળી કાર્યાલય અને સ્પોર્ટ્સ ક્લબ ઓફિસનું લોકાર્પણ તથા મંડળીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી સભાસદોને સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે માનનીય કુલપતિએ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને મંડળીની કામગીરી બાબતે પ્રશંસા વ્યક્ત કરી હતી અને કારોબારી સભ્યો અને સર્વે સભાસદોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા અને મંડળીના ડિઝિટલાઇઝેશન બાબતે ભારોભાર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. હવેથી સર્વે સભાસદો આ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન થકી મંડળી સાથેના પોતાના તમામ આર્થિક વ્યવહારો સંપૂર્ણ પારદર્શિતા સાથે સરળતાથી કરી શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ક્રેડિટ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પાલનપુર શહેરના પ્રભારી અને મહેસાણાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, દરેક વોર્ડમાંથી વ્યક્તિગત રીતે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા અને તેમની સેન્સ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ દ્વારા તેનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 થી 12 દાવેદારો છે, જ્યારે કેટલાક વોર્ડમાં તો 20 જેટલા દાવેદારો જોવા મળ્યા છે. આ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોનો મોટો ધસારો છે. ઉમેદવારની પસંદગી માટેના માપદંડ અંગે હસમુખ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા, પક્ષ પ્રત્યેની વફાદારી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગનો આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી રૂ.5000 ની લાંચ માંગતો હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ કર્મચારીને છુટ્ટો કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોમાં અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવે છે. જેમાં અરજદાર રૂ.2000 આપતો નજરે પડે છે. જેમાં લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોઝભાઇનું નામ લે છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અન્ય કર્મચારીનો ખૂલાસો કરવામાં ન આવી સમગ્ર લાંચ પ્રકરણ પર ઢાંક પીછોડો કરવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિભાગ - 2 ના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું કે, વિડીયો ધ્યાનમાં આવતા આઉટ સોર્સિંગના કર્મચારી કે જે પટ્ટાવાળા છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કરવામાં આવ્યું છે. વીડિયોમાં ફિરોઝભાઈ નામના અધિકારીનું નામ લેવામાં આવે છે જે બાબતે પૂછવામાં આવતા નાયબ કલેક્ટર જણાવ્યું કે તે તપાસમાં વિષય છે અને આમાં ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. શહેરમા જૂની કલેક્ટર કચેરીના નાયબ કલેકટર કચેરી ગ્રામ્ય વિભાગ 2 માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના કર્મચારી કામ કરવાના રૂપિયા માંગતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. અરજદાર અહીં અરજી કરે તો 1 થી 2 મહિના સુધી અરજદારને તારીખો આપવામાં આવે છે ત્યારબાદ અરજદાર કંટાળી જાય ત્યારે અહીંથી અરજદારને એવું કહેવામાં આવે છે કે અમારું કંઈક સમજો. જે બાદ અરજદાર કંટાળીને લાંચ આપવા મજબૂર બને છે. અહીં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો જ આઉટસોર્સનો કર્મચારી રૂ.5000ની લાંચ માંગતો નજરે પડે છે અને બાદમાં રૂ.2000 રોકડા લેતો જાગૃત નાગરિકના મોબાઇલમાં રહેલા કેમેરામાં કેદ થઈ જાય છે. જે પોતાના સાહેબ ફિરોઝભાઈનું પણ નામ લે છે. જોકે તે કોણ છે તે બાબતે નાયબ કલેક્ટર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. જોકે જાગૃત નાગરિકનો વિડીયો વાયરલ થયા બાદ નાયબ કલેક્ટર દ્વારા આદેશ બહાર પાડવામાં આવે છે કે, સરકાર દ્વારા માન્ય એજન્સી ઓમ એન્ટરપ્રાઈઝ મારફત અત્રેની કચેરીમા આઉટસોર્સથી પટ્ટાવાળાની સેવાઓ લેવામાં આવે છે. એજન્સી દ્વારા હિરેન ચૌહાણને કચેરીમાં પટ્ટાવાળા તરીકેની સેવાઓ માટે ફાળવવામાં આવ્યો હતો. જોકે તા.7 એપ્રિલના રોજ પટ્ટાવાળા દ્વારા અરજદાર પાસે લાંચની માંગણી કરવાની ગેરપ્રવૃત્તી કરવાનું ધ્યાને આવેલ છે. જેથી આ પટ્ટાવાળાની સેવાઓ લેવી કચેરી માટે હિતાવહ નથી જેથી તેને સેવામાથી છુટા કરવામાં આવે છે. જોકે અહીં વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાને બદલે કર્મચારીને છુટા કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં પટ્ટાવાળા દ્વારા સાહેબ તરીકે નામ લેવામાં આવે છે તે ફિરોઝભાઈ કોણ છે ? તે જાહેર કરવાને બદલે અને લાંચની ચેઇન ખૂલ્લી પાડવાને બદલે ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે.
ગુજરાતના પાટનગર અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મોડી રાતે મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં બદલી થઈને આવેલા જેટલા બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોને વિવિધ પોલીસ મથકો અને ટ્રાફિક જેવી મહત્વની શાખાઓમાં તાત્કાલિક અસરથી નિમણૂંક આપી દેવામાં આવી છે. આ ફેરબદલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાટનગરના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાઓ સામે પોલીસિંગને વધુ સઘન બનાવવાનો છે. દેસાઈની અડાલજ અને વિશાલ શાહની ઇન્ફોસિટીમાં નિમણૂકગાંધીનગર પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ધ્વારા જિલ્લા પોલીસ મથકોમાં નવા પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂક કરી દેવામાં આવી છે. ગાંધીનગરના આઈટી હબ ગણાતા ઈન્ફોસિટી વિસ્તાર અને અમદાવાદ-ગાંધીનગરને જોડતા અડાલજ પટ્ટા પર સુરક્ષા વધારવા માટે અનુભવી અધિકારીઓની પસંદગી કરાઈ છે. જે અન્વયે સીઆઈડી ક્રાઈમમાંથી આવેલા એસ.જી. દેસાઈને અડાલજ પોલીસ સ્ટેશનમાં અને વી.એ. શાહને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં જવાબદારી સોંપાઈ છે. આ વિસ્તારોમાં વ્યાપારી પ્રવૃત્તિઓ અને અવરજવર વધુ હોવાથી અહીં નવા અધિકારીઓની નિમણૂંક સુરક્ષાના દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની માનવામાં આવે છે. એન.એમ. ચૌધરી અને વી.પી. પરમારને ટ્રાફિક શાખામાં એજ રીતે શહેરમાં વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બે નવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરાથી એન.એમ. ચૌધરી અને પોરબંદરથી બદલી થઈને આવેલા વી.પી. પરમાર હવે પાટનગરના ટ્રાફિક નિયમનની જવાબદારી સંભાળશે. તો બોટાદથી બદલી થઈને આવેલા પીઆઇ એ. જી. સોલંકીને સેકટર 7 પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. એમ.આર. તબિયારને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયાબીજી તરફ મહિલાઓની સુરક્ષા અને સંવેદનશીલ મુદ્દાઓના નિકાલ માટે મહિલા પીઆઇ એમ.આર. તબિયારને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જે દર્શાવે છે કે પોલીસ વિભાગ મહિલા સુરક્ષાને અગ્રતા આપી રહ્યું છે. જ્યારે રાજ્યનું શાસન જ્યાંથી ચાલે છે તેવા સચિવાલય સંકુલની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે કચ્છ ભુજથી એચ.એસ. ત્રિવેદી અને ઇન્ટેલિન્જસથી બદલી થઈને આવેલા એન.જી. બારોટ જેવા અધિકારીઓને ત્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કલોલ તાલુકા પીઆઇ તરીકે જે. જે.ગઢવીઆ ઉપરાંત અમદાવાદથી આવેલા પોલીસ ઇન્સ્પેકટર એચ.એન.પટેલ અને કરાઈથી બદલી થઈને આવેલા આર.જે.બોડાટની કલોલ શહેર અને સુરત થી આવેલા પીઆઇ એ.એસ.ચૌહાણને મૂકવામાં આવ્યા છે. તો કલોલ તાલુકા પીઆઇ તરીકે જે. જે.ગઢવીને મૂકવામાં આવ્યા છે. જ્યારે રખિયાલ પોલીસ મથકમાં રામજીભાઈ ગોયલને પીઆઇ તરીકે નિમણુંક અપાઈ છે. એજ રીતે પેથાપર પોલીસ મથકમાં અમરેલીથી આવેલા પીઆઇ એ. એમ. દેસાઇની નિમણૂક કરાઈ છે. આ તમામ અધિકારીઓ અગાઉ રાજ્યના વિવિધ એકમો જેવા કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી કરપ્શન બ્યુરો, સીઆઈડી ક્રાઈમ અને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કાર્યરત હતા. તેમના બહોળા અનુભવનો લાભ હવે ગાંધીનગર જિલ્લાના સ્થાનિક પોલીસિંગમાં મળશે. આ નવા અધિકારીઓ આવતા પાટનગરની શાંતિ અને સલામતી જાળવવામાં પોલીસ તંત્રને નવી ગતિ મળશે તેવું જણાય છે.
નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે નવસારીના ખડસુપા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ટેમ્પો ચાલકે મોટરસાઈકલ પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 47 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ટેમ્પો ચાલક પોતાનું વાહન છોડીને નાસી છૂટ્યો હતો. ગેસ સિલિન્ડર ભરાવવા જતી વખતે કાળ ભેટી ગયોમળતી માહિતી મુજબ, નવસારીના સરપોર ગામના વતની ગીતાબેન ખાલપ (ઉં.વ. 47) અને તેમના પતિ આજે સવારે પોતાના ગામથી બાઈક પર ગેસનો સિલિન્ડર ભરાવવા માટે નવસારી શહેર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ખડસુપા ગામ પાસે નેશનલ હાઈવે 48 પર એક ટેમ્પો ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ગીતાબેન રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. મહિલાનો મૃતદેહ સિવિલ ખસેડાયોઅકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પકડાઈ જવાની બીકે પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પરિવારમાં શોકની લાગણીસરપોર ગામના દંપતી સાથે બનેલી આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરમાં એક વખત ફરી ગેંગવોરનો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કુખ્યાત બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચકતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ગુજસીટોક હેઠળ જેલમાં રહેલો અને તાજેતરમાં છૂટેલો અસફાક શેખ ફરીથી પોતાની ગેંગ સાથે સક્રિય થયો હોવાનું સામે આવ્યું છે. સિટી પોલીસે ઇજાગ્રસ્ત નૈમુદ્દીન સૈયદની ફરિયાદના આધારે ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત રિક્ષા ડ્રાઇવર અને મજીલીમીયા માસ્ટરનો ખાંચો મીનારા મસ્જીદ પાસે આવેલ યાકુતપુરા ખાતે રહેતા નઈમુદ્દીન બસીરુદ્દીન સૈયદ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી સાજીદ ગોલુમીયા શેખ ઉર્ફે પહેલવાન , અસ્ફાક ઇકબાલમીયા શેખ, ફિરોજ ઝેલાની શેખ ત્રણેય (રહે.મીનારા મસ્જીદની પાછળ, યાકુતપુરા, વડોદરા શહેર) દ્વારા જુની અદાવતને લઇને ફરિયાદી પર હુમલો કર્યો હતો. દરમ્યાન તેઓ ઉશ્કેરાઇ જઈને ગંદી ગાળો બોલતા હતા અને આ જ હતો, મારો આને….તેવુ કહીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી સાજીદ ગોલુમીયા શેખ ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ડંડો માર્યો હતો. આ સાથે આરોપીના ભાઈ નાસીરુદ્દીન બસીરુદીન સૈયદ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ગડદાપાટુનો માર કર્યો હતો.આ દરમ્યાન આરોપી મોહસીન અમીનમીયા શેખ દ્વારા તેઓના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તમામ સામે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોપી અસ્ફાક ઇકબાલમીયા શેખ ગુજસીટોક હેઠળ જેલમાં રહી ચુક્યો છે અને પરત ફરતા આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ તેમની આખી હરકત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ પોલીસે રમેશભાઈ સુથારની ધરપકડ કરી
પંચમહાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી રમેશભાઈ સુથારની ધરપકડ કરી છે. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડને આ સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) દ્વારા 1 એપ્રિલથી 40 એપ્રિલ 2026 સુધી 'નાસતા ફરતા આરોપીઓ પકડવા' માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતે તમામ પોલીસકર્મીઓને સક્રિય રહેવા સૂચના આપી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી અનુસાર, પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રમેશભાઈ બચુભાઈ સુથાર ગોધરાના ભુરાવાવ ચોકડી પાસે હાજર હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રમેશભાઈ બચુભાઈ સુથારને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
ભર ઉનાળે વરસાદ:શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ
ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ઘીમી ઘારે વરસાદ વરસ્યો હતો, આમા ભર ઉનાળે વરસાદ વરસતા ગરમી માં મહદઅંશે ઘટાડો થયો હતો, સવારથી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ત્યારે ભાવનગરમાં પણ હળવા થી ભારે વરસાદ પડશે, તેમજ 30 થી 40 કિ.મી ઝડપે પવન ફૂંકાશે તે આગાહી વચ્ચે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, તેમજ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, ભાવનગરમાં અનેક ગામો તેમજ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, આમ, ભરઉનાળે ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી. પરંતુ હાલ કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનક પલટો સાથે ધીમી ધારે વરસાદ વરસ્યોનું આગમન થયું હતું, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, કાળાનાળા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે, હાલ, ભાવનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરેરાશ 34 ડીગ્રી તાપમાનનો પારો રહ્યો છે. છેલ્લા 5 દિવસનું તાપમાનનો પારો જોઈએ તો, તા.3 એપ્રિલ શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 81 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.4 એપ્રિલ શનિવારના રોજ મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 54 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.5 એપ્રિલ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 29 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.તા.6 એપ્રિલ સોમવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.7 એપ્રિલ ને મંગળવારના રોજ લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરાને કમિટમેન્ટ નામ આપ્યું છે. અમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શહેરીજનોને જો કોંગ્રેસનું બોર્ડ આવશે તો શું કરશે તે અંગેના કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા. શુધ્ધ પાણી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું કમિટમેન્ટ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા, શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, પુષ્પા વાઘેલા, પ્રવક્તા નિશાંત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે, જો કોંગ્રેસનું બોર્ડ બનશે તો શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવશે, વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ન સર્જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, શહેરમાં સારા રોડ રસ્તા બનાવવામાં આવશે અને સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. કોંગ્રેસના આગેવાનોએ ભાજપના આગેવાનો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવી જો તેઓનું બોર્ડ આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. ભાજપના શાસકો ઉપર ભ્રષ્ટાચારના આરોપ કોંગ્રેસના આગેવાનોએ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી શાસનમાં રહેલા ભાજપના શાસકો ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેઓનકર્યા હતા કે દરેક ટેન્ડરમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. શાસકોએ માત્ર પોતાના ગજવા જ ભર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોના ઘરમાં ત્રીજા માળ સુધી પાણી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા હતી. ત્યારે આગામી સમયમાં પણ આવી વ્યવસ્થા કરવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીમાં પૂર અને સીસોટી કાંડ ચર્ચાયું ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના કાર્યક્રમમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત પાલિકામાં ફાયર વિભાગ દ્વારા ખરીદવામાં આવેલી મોંઘીદાટ સીસોટીનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરણી બોટ દુર્ઘટનામાં મૃતકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી તેમ જણાવી આ તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ આગામી સમયમાં લોકો સુધી પહોંચશે તેમ જણાવ્યું હતું.
આણંદમાં વાતાવરણમાં પલટો:છૂટાછવાયા વરસાદી ઝાપટાથી જનજીવન પ્રભાવિત
આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ બપોરના સમયે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. જોકે, ગરમીથી પરેશાન નાગરિકોને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસેલા આ વરસાદને કારણે બજારમાં પણ તેની અસર જોવા મળી હતી. બીજી તરફ, આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં પણ આણંદના આકાશમાં કાળા વાદળો છવાયેલા છે અને આગામી કલાકોમાં હજુ પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ. સોલંકીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલાની અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષના કાર્યકરો કે અન્ય વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે 10થી વધુ વાહનોના કાફલા સાથે ફરી શકશે નહીં. આ નિયમ કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓના કાફલાને પણ લાગુ પડશે. જો મંત્રીના કાફલામાં 10થી વધુ વાહનો હોય, તો દસ વાહનો પછી કાફલો તોડીને બે કાફલા વચ્ચે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. મહાનુભાવોની સુરક્ષા સંબંધિત વિશેષ સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારીની કચેરીની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર વધુમાં વધુ ત્રણ વાહનો સાથે આવી શકશે. કચેરીની અંદર પ્રવેશ માટે પણ મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. પાંચથી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, ફરજ પરના સરકારી વાહનો, ચૂંટણી કાર્યમાં રોકાયેલા સ્ટાફના વાહનો અને સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલા વાહનોને આ નિયંત્રણો લાગુ પડશે નહીં. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે 30 એપ્રિલ, 2026ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.
વડોદરા શહેરમાં પ્રેમીએ પ્રેમિકાના ફોટો બતાવી શારીરિક સંબંધ અને મળવા માટે બ્લેકમેઇલ કરી હતી, જેથી મહિલાએ અભયમની મદદ લીધી હતી અને અભયમે મદદ કરીને મહિલાને બ્લેકમેઇલિંગથી છુટકારો અપાવ્યો હતો. એક મહિલાએ મદદ માટે અભયમનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, તેઓ પોતાની નોકરી દરમિયાન એક સહકર્મી સાથે આશરે બે વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ છેલ્લા 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન તેઓ વારંવાર મળતા રહ્યા હતા. ત્યારબાદ વ્યક્તિએ નોકરી છોડી દીધી હતી અને મહિલાથી વારંવાર નાણાં માંગતો હતો, જેથી મહિલાએ પૈસા આપ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તે વ્યક્તિ મહિલાને શારીરિક સંબંધ માટે દબાણ કરવા લાગ્યો હતો. મહિલાએ ઇનકાર કરતાં આરોપીએ મહિલાના ફોટાઓમાં એડિટિંગ કરીને સોશિયલ મીડિયા પર મૂકવાની ધમકી આપી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને ફોટા સ્ટેટસમાં મૂકવાનો શોખ હોવાથી અગાઉ તેમણે પોતાના ફોટા શેર કર્યા હતા, જે આરોપી પાસે હતા. હાલમાં તે ફોટાઓનો દુરુપયોગ કરીને મહિલાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ દરમિયાન આરોપી મહિલાના કામના સ્થળે આવી પહોંચ્યો હતો અને બહાર મળવા માટે દબાણ કરતો હતો. મહિલાએ જવાની ના પાડી દીધી હતી અને 181 અભયમની મદદ માંગી હતી. ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષને મળીને કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન આરોપીએ સંબંધ હોવાની વાત સ્વીકારી હતી, પરંતુ હવે મહિલા સાથે આગળ સંબંધ રાખવા મહિલાની ના હોવા છતાં દબાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. અભયમ ટીમ દ્વારા આરોપીને સમજાવવામાં આવ્યું હતું કે કોઈને બ્લેકમેલ કરવું કાયદેસર ગુનો છે અને આ પ્રકારનું વર્તન અયોગ્ય છે. બંને પરિણીત છે અને સંતાનો હોવાના કારણે આવી હરકતો યોગ્ય ન હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું. અંતે, આરોપીના મોબાઇલમાંથી મહિલાના ફોટા, વીડિયો અને મેસેજ ડિલીટ કરાવવામાં આવ્યા હતા અને બંને પક્ષોએ પરસ્પર સંબંધ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ એકબીજાના નંબર બ્લોક કર્યા હતા. આ રીતે 181 અભયમની સમયસર કાર્યવાહીથી મહિલાને બ્લેકમેલિંગની સમસ્યામાંથી મુક્તિ મળી છે.
LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ
add caption 5kg FTL LPG Cylinder for Migrants: દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી(FTL) સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગુન્હાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગને કારણે પોલીસ સક્રિય બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો ભંગ કરીને રજીસ્ટર વગર મોબાઈલની લે-વેચ કરવા બદલ પ્ર.પાટણની 'સ્ટાર મોબાઈલ' દુકાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ચોરીના કે ગુન્હામાં વપરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટે મોબાઈલ વેપારીઓ માટે નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમો મુજબ, નવા કે જૂના મોબાઈલની ખરીદી કે વેચાણ કરતી વખતે વેચનાર અને ખરીદનારની સંપૂર્ણ વિગતો—નામ, સરનામું અને ઓળખ—રજીસ્ટરમાં નોંધવી ફરજિયાત છે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગીર સોમનાથ પોલીસ વધુ સક્રિય બની છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે જિલ્લામાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત, પ્ર.પાટણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પીર રેહાન મસ્જિદ નજીક આવેલી 'સ્ટાર મોબાઈલ' નામની દુકાનની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જણાયું કે દુકાનના માલિક/સંચાલક મોહમદરફીક હુસેનભાઈ ભાદરકા (ઉંમર 40, રહે. પ્ર.પાટણ લખાતવાડી) દ્વારા મોબાઈલ લે-વેચ માટે જરૂરી રજીસ્ટર નિભાવવામાં આવ્યું નહોતું. આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ ગણાતાં, પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મોબાઈલ લે-વેચનો વ્યવસાય કરતા તમામ વેપારીઓએ નિયમોનું કડક પાલન કરવું પડશે. રજીસ્ટર વગર વેપાર કરતા જણાશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુન્હાઓ રોકવા અને તેના મૂળ સુધી પહોંચવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ:સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જનસંપર્ક સભાઓ બાદ 7 ગુના દાખલ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી)ની પ્રવૃત્તિઓ ડામવા માટે 15 માર્ચથી 14 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિભાગીય સ્તરે જનસંપર્ક સભાઓ યોજી વ્યાજખોરોના ત્રાસ સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જનસંપર્ક સભાઓ અને પોલીસ કાર્યવાહી જિલ્લામાં કુલ 4 જનસંપર્ક સભાઓ યોજવામાં આવી હતી. આ સભાઓમાં મળેલી રજૂઆતો અને જાગૃતિના પગલે પોલીસમાં કુલ 7 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 અરજદારો દ્વારા મળેલી અરજીઓમાં અરજદાર અને સામાવાળા પક્ષ વચ્ચે સમાધાન થતાં તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. કયા પોલીસ સ્ટેશનમાં કોની સામે ગુના નોંધાયા? પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 શખ્સો સામે ગુના નોંધાયા છે: મૂળી પોલીસ સ્ટેશન: દેવાયત સામળા રબારી (રહે. ગઢડા), કાળુ ભરવાડ અને દિલા ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર). લીંબડી પોલીસ સ્ટેશન: ભગીરથસિંહ રાણા (રહે. હાલ લીંબડી, મૂળ કંથારિયા) અને રાજદીપસિંહ ઉર્ફે ભાણુભા મહેન્દ્રસિંહ (રહે. નંદીગ્રામ સોસાયટી, લીંબડી). ચુડા પોલીસ સ્ટેશન: મનુ જીવા ખાચર (રહે. કોરડા, તા. ચુડા). જોરાવરનગર પોલીસ સ્ટેશન: હરપાલસિંહ દીલુભા પઢીયાર (રહે. વઢવાણ). ધજાળા પોલીસ સ્ટેશન: મોઢ બહાદુર ખાચર (રહે. સાંગોઈ), પ્રતાપ કાઠી દરબાર (રહે. શીરવાણીયા), ઉદય લખુ ખવડ (રહે. શીરવાણીયા), બાબ જીલુ ભાંભળા (રહે. ભાણેજડા), વનરાજ બાબ ભાંભળા (રહે. ભાણેજડા) અને હરસુખ ગોવિંદ ત.કોળી (રહે. ગઢશીરવાણીયા, હાલ થાનગઢ). સુરેન્દ્રનગર સિટી B ડિવિઝન: રામ વસ્તુભાઈ કરપડા (60 ફૂટ રોડ), પ્રફુલસિંહ અર્જુનસિંહ રાણા (દાળમીલ રોડ), અરવિંદ વરસંગ જાદવ (અખીશેલ પાર્ક), મયુર ગોવિંદ રબારી (કુકડા, તા. મૂળી), બાલાસીંગ આર. રાઠોડ (રહે. હાલ અમદાવાદ, અદાણી શાંતિગ્રામ) અને પ્રતાપ કાળુ માલા (રહે. થાનગઢ). પોલીસની જાહેર અપીલ પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ આરોપીઓ અથવા અન્ય કોઈ પણ વ્યાજખોરના ત્રાસનો ભોગ બની હોય, તો નિર્ભય થઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી. પોલીસ વ્યાજખોરીની પ્રવૃત્તિને જડમૂળથી નાબૂદ કરવા કટિબદ્ધ છે.
જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
(IMAGE - IANS) Israel Threatens Iran Train Network: ઈરાન માટે આજે એટલે કે મંગળવાર, 7 એપ્રિલનો દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યો છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમજૂતી માટે આપવામાં આવેલી ડેડલાઈન આજે પૂરી થઈ રહી છે, તો બીજી તરફ ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નિયત મર્યાદા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડતાં ઉમેદવાર રૂ.9 લાખ, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતાં ઉમેદવાર રૂ.6 લાખ તો તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવાર રૂ.3 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જોકે ચા કોફી અને નાસ્તા સહિતનો ખર્ચ ગત લોકસભાની ચૂંટણીમાં હતો તે પ્રમાણે જ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ચા - કોફીના રૂ.10, દૂધના ગ્લાસના રૂ.30, નાસ્તાના રૂ.63, ભોજનના રૂ.100 નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ ઢોલ નગારાના 1 વ્યક્તિ દીઠ રૂ.1000, કેશિઓ પાર્ટી (લારી સાથે) 1 યુનિટના રૂ.2000 તો ડી.જે. પાર્ટી વાહન સાથે 1 યુનિટનો રૂ.10000 નો ખર્ચ મંજૂર થયો છે. આ સિવાય સ્કુટરનો ફયુઅલનો ખર્ચ પ્રતિ કિમી રૂ.2 થી રૂ.3 અને કારનો ફયુઅલનો ખર્ચ પ્રતિ કિમી રૂ.5 થી રૂ.6 મંજૂર કરવામાં આવ્યા છે. ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નિયત મર્યાદા મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે - રૂ.9 લાખ 1 થી 9 વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે - રૂ.2.25 લાખ 9 થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે - રૂ.3.50 લાખ જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે - રૂ.6 લાખ તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે - રૂ.3 લાખ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર- 12 વોર્ડ સુધીની પંચાયત - રૂ.25000ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર 13 થી 22 વોર્ડ સુધીની પંચાયત - રૂ.45000ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર 23 કે તેથી વધારે વોર્ડની પંચાયત - રૂ.60000 ચા - કોફી અને ભોજનના ભાવ ચા કોફી - રૂ.10દૂધનો ગ્લાસ - રૂ.30નાસ્તો - રૂ.63સમોસા, કચોરી/ચીઝ ગ્રિલ સેન્ડવિચ, દહીં વડા, પવા બટાટા, સેવ ખમણી -રૂ.50 સાંજનું ભોજન : થેપલા અથવા પરોઠા, ખીચડી, શાક, કઢી, છાસ, પાપડ, સલાડ -રૂ.100 વેજીટેબલ રેગ્યુલર થાળી ૧ સ્વીટ, ૨ સજી, રોટી ૬ અથવા પુરી, મીકસ ભજીયા, ચટણી, દાળભાત, છાસ, પાપડ, સલાડ - રૂ.110 મંડપની કામગીરી માટે આઇટમોના ભાવોનું પત્રક મંડપ (ઝુલા સાથે) (એક દિવસ માટે) - પ્રતિ ચો.ફુટ - રૂ.2ફલોરીંગ (એક દિવસ માટે) - પ્રતિ ચો. ફુટ - 0.66 બેરીકેટીંગ (3 ફૂટ ઉંચાઇ) (બે દિવસ માટે) - પ્રતિ ચો.ફુટ - રૂ.10 ડસ્ટબીન - પ્રતિ નંગ - રૂ.60 પીવીસી (પ્લાસ્ટીક ખુરશી) (એક દિવસ માટે) - પ્રતિ નંગ - રૂ.10 ટેબલ (2.50 5 ફુટ) (ટેબલ કલોથ સાથે) (એક દિવસ માટે) - પ્રતિ નંગ - રૂ.150 ગાદલુ, ચાદર, ઓસીકું - પ્રતિ સેટ - રૂ.30 ઢોલ-નગારા - કેશીયો પાર્ટીનું ભાવ પત્રક ઢોલ નગારા - 1 વ્યક્તિ - રૂ.1000કેશિઓ પાર્ટી (લારી સાથે) - 1 યુનિટ - રૂ.2000ડી.જે. પાર્ટી વાહન સાથે - 1 યુનિટ - રૂ.10000સ્કુટરનો ફયુઅલનો ખર્ચ - પ્રતિ કિમી - રૂ.2 થી રૂ.3કારનો ફયુઅલનો ખર્ચ - પ્રતિ કિમી - રૂ.5 થી રૂ.6 આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ - 1 નંગ - રૂ.20 થી રૂ.30એમ્પ્લિફાયર, માઈક્રોફોન, સ્પિકર - 1 યુનિટ - રૂ.2500 થી રૂ.4000ટોપી - 1 - રૂ.30 થી રૂ.50મફલર - 1 - રૂ.50 થી રૂ.75શાલ - 1 - રૂ.80 થી રૂ.200ફટાકડા - 1 બોક્સ - રૂ.1500ચોપાનિયા - 500 નંગ - રૂ.250બગી - રૂ.7000 મંડપ – સ્ટેજ અને આનુસાંગિક મુખ્ય કામોના ભાવ મુખ્ય સ્ટેજ 6 ફૂટ થી 8 ફૂટની હાઈટ તેમજ 18 એમ એમ ફલાયવૂડ લગાવી તેમજ તેને લાગવાની અને ગોઠવવાની તમામ કામગીરી - 1 ચો. મી. - રૂ.1000વી.આઈ.પી. ગાદીવાળી ખુરશીઓ કાર્યક્રમનાં સ્થળે સુચના મુજબ સાફસુફ કરી ગોઠવી આપવાની માલ મજુરી સાથેની કામગીરી. સ્ટીલ રાઉન્ડમાં - 1 - રૂ.105ગ્લાસ ટોપવાળી લાકડાની ટીપોઈ - 1 - રૂ.140નેચરલ બુકે ઉભા - 1 - રૂ.350પોડીયમ - 1 - રૂ.1500VVIP ફુલના હાર - 01 - રૂ.200VIP - 01 - રૂ.150 ઇલેકટ્રીકલની કામગીરી માટે આઇટમોના ભાવોનું પત્રકહેલોજન ફીટીંગ 500 વોટ (વાયરીંગ તથા સ્વીચ બોર્ડ સાથે) (એક દિવસ માટે) - રૂ.400સાઉન્ડ સિસ્ટમ સેટ (બે દિવસ માટે) - રૂ.4500એલ.ઈ.ડી. લાઈવ ટેલીકાસ્ટ ટી.વી. 148 ફુટ - પ્રતિ નંગ - રૂ.51000LED ટયુબલાઇટ કમ્પલીટ વીથ લીડ વાયર - પ્રથમ દિવસ - રૂ.20.201200 એમ.એમ./1400 એમ.એમ.સાઈઝ સીલીંગ ફેન - પ્રથમ દિવસ - રૂ.80.80પોર્ટેબલ એરકન્ડીશનીંગ મશીન કમ્પલીટ વીથ ગેસ ચાર્જીંગ અને જરૂરી ફલેક્સીબલ ડકટ, ડ્રેઈન સીસ્ટમ વિગેરે સાથે 0.75 /1.0 ટન પ્રતિ દિવસના - પ્રથમ દિવસ - રૂ.19193, 4 અને 5 ટન ટાવર ટાઈપ/સ્પીલ્ટ એરકંડીશન મશીન જરૂરી ગેસ ચાર્જીંગ સાથે લાવવા લઈ જવા તથા ઈન્સ્ટોલ કરી આપવાના ભાડા સહીતનો ભાવ (એક દિવસ માટે) - રૂ.7070સાદી નાની સાઉન્ડ સિસ્ટમ (એક દિવસ) - રૂ.1500 વિડીયોગ્રાફી / ફોટોગ્રાફીના ભાવ વિડીયોગ્રાફી કેમેરા સાથે - 4 કલાક - 1 વ્યક્તિ - રૂ.1380વિડીયોગ્રાફી કેમેરા સાથે - 8 કલાક - 1 વ્યક્તિ - રૂ.1495વિડીયોગ્રાફી કેમેરા સાથે - 12 કલાક - 1 વ્યક્તિ - રૂ.2150 ફોટોગ્રાફી કેમેરા સાથે - 1 વ્યક્તિ - રૂ.200
સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ જીતતી હોય, પરંતુ શહેરના ખજોદ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ અને ડરામણી છે. છેલ્લા 10 દિવસથી ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી ભીષણ આગ હવે માત્ર કચરો નથી સળગાવી રહી, પણ હજારો લોકોના શ્વાસ પણ રૂંધી રહી છે. સરસાણાના આગમ હાઈટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશોએ હવે સીધો જ હુંકાર કર્યો છે કે, પહેલા આગ બુઝાવો, પછી જ વોટ માંગવા આવજો. ઘરમાં પણ માસ્ક પહેરીને ફરવા મજબૂર લોકોખજોદની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે લોકોએ પોતાના જ ઘરોમાં કેદ થવું પડ્યું છે. 'આગમ હાઈટ્સ' સોસાયટીના રહીશ પ્રકાશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું સિનિયર સિટીઝન છું, મારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી ધુમાડો એટલો વધી ગયો છે કે બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. 'નો વોટ, નો એન્ટ્રી', 550 ફ્લેટના 2000 મતદારોનો ચૂંટણી બહિષ્કારચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નેતાઓ માટે આ માઠા સમાચાર છે. આગમ હાઈટ્સના રહીશોએ એકસૂરે નક્કી કર્યું છે કે, જો આગ અને ધુમાડાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. અત્યાર સુધી કોઈ કોર્પોરેટર ડોકાયું નથી. જો તેમને અમારા જીવની પડી નથી, તો અમને તેમના વોટની પડી નથી. માત્ર એક જ સોસાયટીના 2000થી વધુ વોટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ આગ છે કે કરોડોનું કચરા-કૌભાંડ?સોસાયટીના રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, દર 15-20 દિવસે અહીં આગ લાગે છે. શું આ કુદરતી છે કે જાણીજોઈને લગાડવામાં આવે છે? કચરાના નિકાલ માટે કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, છતાં કચરો સળગાવવાની ફરજ કેમ પડે છે? શું કચરો ઓછો બતાવવા માટે આ 'આગનું કૌભાંડ' આચરવામાં આવે છે? SMCએ આના પર તાત્કાલિક તપાસ બેસાડવી જોઈએ. 'મિની લોકડાઉન', બાળકો માટે મેદાન અને વૃદ્ધો માટે વોકિંગ બંધસનફ્લાવર 1-Aના પ્રેસિડેન્ટ તજિંદરભાઈએ જણાવ્યું હતું કે, અમે અત્યારે નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. આ એક પ્રકારનું 'મિની લોકડાઉન' છે. બાળકો નીચે રમવા જઈ શકતા નથી, વૃદ્ધોને ગભરામણ થાય છે. અમારે ગાડી લઈને નીકળવું હોય તો પણ નાક પર રૂમાલ બાંધવો પડે છે. શું આ જ સ્માર્ટ સિટી છે? લોકોના SMCને 5 તીખા સવાલતમે નાગરિકોને દંડ કરો છો, પણ ડમ્પિંગ સાઈટની આ ગંદકી માટે જવાબદાર કોણ? 10 દિવસથી આગ કેમ બુઝાઈ નથી? શું ફાયર સેફ્ટીના સાધનો ટૂંકા પડે છે? આ ઝેરી ધુમાડાથી થતી બીમારીઓની જવાબદારી કોની? જ્યારે જનતા શ્વાસ માટે તડપે છે, ત્યારે નેતાઓ માત્ર વોટ માટે જ દેખાશે? શું SMC પાસે આ આગ રોકવા માટે કોઈ 'માસ્ટર પ્લાન' છે? રહીશોએ ચેતવણી, હવે આશ્વાસન નહીં, એક્શન જોઈએખજોદ નજીકના વિસ્તારના 3000 થી વધુ પરિવારોએ હવે મન બનાવી લીધું છે. જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે આ આગ નહીં બુઝાય અને કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં નહીં આવે, તો રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે. એવોર્ડ જીતવા અને મેડલ મેળવવા એ સારી વાત છે, પણ જ્યારે શહેરનો એક મોટો હિસ્સો ઝેરી ધુમાડામાં ગૂંગળાઈ રહ્યો હોય, ત્યારે એવોર્ડની ચમક ઝાંખી પડી જાય છે. તંત્રએ જાગવાની જરૂર છે. કોઈ કોર્પોરેટર ડોકાયા નથી, ચૂંટણી પર અસર પડશેઃ પ્રકાશભાઈપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, હું આગમ હાઈટ્સમાં રહું છું અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એ બુઝાતી નથી. એટલે એના લીધે જે બધો સ્મોક, ધુમાડો એ બધા બાળકો માટે અને અમારા માટે બહુ તકલીફજનક છે. હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. અહિયાં કોઈ કોર્પોરેટર આવતું નથી કે અમે અમારો પ્રોબ્લેમ જણાવી શકીએ. આવનારી ચૂંટણીમાં આ સમસ્યાની અસર ચોક્કસથી પડશે. અમારે ત્યાં 550 ફ્લેટ છે, 2000 મતદારો છે તો અમે આ ચૂંટણીમાં સંપૂર્ણ બહિષ્કાર કરીશું. બાળકો શ્વાસ નથી લઈ શકતા, શું આ છે સ્વચ્છ ભારત અભિયાનઃ હર્ષભાઈવધુમાં સ્થાનિક હર્ષભાઈએ જણાવ્યું હતું કે, મોદીજીનું શું કહેવું છે 'સ્વચ્છ ભારત અભિયાન'. શું સ્વચ્છ ભારત અભિયાન આવું દેખાવું જોઈએ? આજે સુરત મહાનગરપાલિકા કહી રહી છે કે, તમે સ્વચ્છતા રાખો, પણ જો SMC પોતે સ્વચ્છતા નથી રાખતી તો સામાન્ય માણસ ક્યાંથી સ્વચ્છતા રાખી શકશે. આ આગને કારણે બીમારીઓ વધી રહી છે. બાળકો શ્વાસ નથી લઈ શકતા. અમારે બારીઓ બંધ રાખવી પડે છે અને એટલી બદબૂ આવે છે કે, જ્યારે અમે બહાર ગાડી લઈને નીકળીએ ત્યારે નાક બંધ કરીને ચાલવું પડે છે. ‘અમે વોટ વિશે વાત જ કરવા માંગતા નથી’અત્યારે ચૂંટણી આવી રહી છે, તો જે કોઈ પણ કોર્પોરેટર કે નેતાજી અહીં આવશે તેમને 'નો વોટ'. કોઈ વોટ નહીં અને અમે વોટ વિશે વાત જ કરવા માંગતા નથી. અહીં 2000થી 3000 પરિવારો રહી રહ્યા છે, અમે વોટ માટે વાત જ નહીં કરીએ. અમને આના વિરુદ્ધ એક્શન જોઈએ છે. આ સ્થિતિ અમારા 'નાના લોકડાઉન' જેવી બની ગઈ છેઃ તજિંદરતજિંદર (સનફ્લાવર 1-A નો પ્રેસિડેન્ટ) એ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી અહીં ડમ્પિંગ યાર્ડમાં આગ લાગેલી છે અને તેના માટે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. જેના કારણે ધુમાડો થઈ રહ્યો છે, ધૂળ ઉડી રહી છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દુર્ગંધ પણ ખૂબ જ આવે છે, જેના કારણે અમારે બારીઓ બંધ રાખવી પડે છે. વૃદ્ધોને અમારે દવાઓ આપવી પડે છે અને બાળકો નીચે રમવા નથી આવી શકતા. માસ્ક પહેરીને ફરવું પડી રહ્યું છે. આ સ્થિતિ અમારા માટે એક 'નાના લોકડાઉન' જેવી બની ગઈ છે. તેથી અમે એસ.એમ.સીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આ બાબતે પગલાં લો. અહીં 500 જેટલા પરિવારો છે જે આ સમસ્યા ભોગવી રહ્યા છે. જો કોઈ અમારી વાત નહીં સાંભળે તો અમે કડક પગલાં લેવા મજબૂર થઈશું. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યા જલ્દી ઉકેલાય, નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું.

27 C