અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં બાઈક લઈને બે શખ્સ આવ્યા હતા અને યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હતો, જેથી યુવતી બૂમ કરવા લાગી હતી. બંને બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયા હતા. યુવતી દાઝી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સરદારનગર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં સાયબર ઠગાઈના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. જેમાં સાયન્સ સિટી વિસ્તારમાં સીમ સ્વેપિંગ દ્વારા 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે રામોલ વિસ્તારમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલી 14.05 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. બંને કેસમાં સાયબર ગઠિયાઓએ મોબાઈલ પર કબ્જો મેળવી બેંક એકાઉન્ટ સુધી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી છે. બંને ઘટનામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીમકાર્ડ સ્વેપિંગ કરી 1.07 કરોડની છેતરપિંડીસાયન્સ સિટી વિસ્તારમાં સાયબર ગુનાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સીમ સ્વેપિંગની ટેકનિક દ્વારા ઠગોએ 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સાયન્સ સિટી રોડ પર રહેતા 53 વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટર 21 માર્ચે પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમના નંબર પર નેટવર્ક ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં સામાન્ય ટેકનિકલ ખામી થઈ હોવાનું માનવામાં આવ્યું હતું. પરંતુ બીજા દિવસે વોડાફોન સ્ટોરમાં તપાસ કરતા ખુલ્યું કે અજાણ્યા વ્યક્તિએ રિક્વેસ્ટ કરીને તેમનું સિમકાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ફરિયાદીએ 22 માર્ચે નવું સિમકાર્ડ મેળવી ફોન ફરી શરૂ કર્યો. પરંતુ ત્યા સુધીમાં સાયબર ઠગોએ પોતાનું કામ પૂરું કરી દીધું હતું. 23 માર્ચે જ્યારે તેઓ તેમના એકાઉન્ટન્ટ સાથે ઓફિસમાં બેંક એકાઉન્ટની ઓનલાઇન વિગતો ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને ઝટકો લાગ્યો હતો. તેમના ખાતામાંથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરીને કુલ 1.07 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સીમ સ્વેપિંગ દ્વારા ઠગોએ તેમના મોબાઈલ નંબરનો કબ્જો મેળવી નેટ બેંકિંગનો એક્સેસ મેળવી લીધો હતો. જેથી છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ મોકલી ખાતામાંથી 14.05 લાખ પડાવ્યાસાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલીને ઠગ ટોળકીએ 14.05 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. રામોલ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ખેડૂત પોતાના ઘરે હતા, ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાફિક ચલાણ બાકી હોવાનું જણાવી આજે છેલ્લી તારીખ છે કહીને એક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. મેસેજથી ગભરાઈને ફરિયાદીએ ફાઈલ ઓપન કરતા જ તેમની સાથે સાયબર ઠગાઈનો ખેલ શરૂ થયો હતો. એપીકે ફાઈલ ખોલતા જ ઠગોએ તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો અને બેંક એકાઉન્ટની માહિતી સુધી પહોંચી ગયા હતા. બાદમાં અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ 14.05 લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ વોટ્સએપ એકાઉન્ટનો પણ કબ્જો મેળવી લીધો હતો. ટ્રાફિક પોલીસના લોગો સાથે ચાર અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી તેમના સગાસંબંધીઓને પણ આ જ પ્રકારની એપીકે ફાઈલ મોકલીને વધુ લોકોને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બાદ છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સોલાર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલાયો:પાણસીણાના કટારીયામાંથી ₹2.16 લાખની 24 પ્લેટ સાથે 3 ઝડપાયા
સુરેન્દ્રનગર LCBએ પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારીયા ગામની સીમમાં થયેલ સોલાર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹2,16,000ની કિંમતની 24 સોલાર પ્લેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. તેમણે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવા આદેશ કર્યો હતો. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાએ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, ટીમે કટારીયા ગામની સીમમાંથી ચોરી કરેલી 24 EMMVEE કંપનીની સોલાર પ્લેટો કબજે કરી, જેની કિંમત ₹2,16,000 છે. આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાં સહદેવભાઈ ઉર્ફે ભુરો દીલીપભાઈ પરનાળીયા, દેવરાજભાઈ ઉર્ફે બહાદુરભાઈ ધનજીભાઈ પરનાળીયા અને કિશોરભાઈ ઉર્ફે કાનાભાઈ પ્રભાતભાઈ બારડનો સમાવેશ થાય છે. આ ત્રણેય કટારીયા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગરના રહેવાસી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે પાણસીણા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમા અને સ્ટાફના પ્રવિણભાઈ કોલા, ભરતભાઈ સભાડ, કૃણાલસિંહ ઝાલા, મેહુલભાઈ મકવાણા અને અનિરુધ્ધસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
ગાંધીનગર તાલુકાના વલાદ ગામે બે મહિના પૂર્વે પડેલી પોલીસ રેડના મામલે તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. વલાદ ગામના ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોરને જુગાર રમતા ઝડપાયા બાદ તેમના પદ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. લોકશાહીમાં ગામના વિકાસની જવાબદારી જેમના શિરે હોય તેવા જવાબદાર વ્યક્તિ જ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાતા પંચાયત આલમમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર LCB પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતીગાંધીનગરના વલાદ ગામના ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોરને જુગાર રમવું રમવું ભારે પડી ગયું છે. બે મહિના પહેલા ગાંધીનગર LCB પોલીસ દ્વારા વલાદ ગામના પેટાપરા ગણાતા ગોળવંટા વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વલાદ ગામના 25 વર્ષીય ઉપસરપંચ જગદીશજી મહેશજી ઠાકોર સહિત કુલ 10 શખસો જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ તમામ રીઢા જુગારીઓ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગામના પ્રતિષ્ઠિત હોદ્દા પર હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીને ગંભીરતાથી લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપસરપંચ જગદીશજી ઠાકોરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યોગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59(1) મુજબ જો કોઈ સરપંચ કે ઉપસરપંચ સામે નૈતિક અધપતનવાળા ગુનામાં ફોજદારી કાર્યવાહી થઈ હોય અથવા ઇન્સાફી કાર્યવાહી દરમિયાન અટકાયત કરવામાં આવી હોય તો તેમને હોદ્દા પરથી મૌકૂફ કરી શકાય છે. આ જોગવાઈને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલે તાત્કાલિક અસરથી ઉપસરપંચ જગદીશજી ઠાકોરને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉપસરપંચ જેવા જવાબદાર હોદ્દા પર રહીને ગામમાં સુધારા લાવવા અને લોકકલ્યાણના કાર્યો કરવાની જગ્યાએ લોક પ્રતિનિધિ પોતે જ જુગારની બાજી માંડીને બેઠા હતા. આ પ્રકારનું વર્તન પદની ગરિમાને કલંકિત કરનારું હોવાથી આ શિસ્તભંગના પગલાં લેવા અનિવાર્ય બન્યા હતા.
વાપીમાં રામનવમીના પાવન પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. આ વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો દેખાવ ધરાવતા સાધુ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઠેર-ઠેર પુષ્પવર્ષા દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ કેસરીયા સાફા અને ધ્વજ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા પોલીસે માહિતી આપી હતી કે વાપીમાં કુલ બે મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે માત્ર પોલીસ તંત્ર જ નહીં, પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓએ સાથે મળીને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવાય તે માટે સહકાર આપ્યો હતો. નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી આયોજન સફળ રહ્યું છે. શોભાયાત્રામાં દિલ્હીથી પધારેલા યોગી વિજેન્દ્રનાથજી મહારાજ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેમનો પહેરવેશ અને દેખાવ આબેહૂબ યોગી આદિત્યનાથ જેવો હોવાથી લોકો તેમની સાથે સેલ્ફી લેવા ઉત્સુક હતા. તેમણે જણાવ્યું હતું કે, યોગીજી માત્ર યુપીના જ નહીં પણ પૂરા દેશના આઈકોન છે. આજે વાપીમાં જે જનસેલાબ ઉમટ્યો છે તે જોઈને રામભક્તિની શક્તિનો અહેસાસ થાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરા અને સીસીટીવી દ્વારા સમગ્ર રૂટનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
વેરાવળમાં ગેસ લાઈનમાં ભંગાણ:નગરપાલિકાના ખોદકામ દરમિયાન ઘટના, રહેવાસીઓમાં અફરાતફરી
વેરાવળના વોર્ડ નંબર 1 માં આવેલી હરસિદ્ધિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટના વેરાવળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. નગરપાલિકાના કર્મચારીઓ નળની લાઈન માટે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે ભૂગર્ભમાં રહેલી ગેસ લાઈનને નુકસાન થયું હતું. જેના કારણે ગેસ લીકેજ થવા માંડ્યું હતું અને આસપાસના રહેવાસીઓમાં ભય તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક સમજદારી દાખવી હતી અને લીકેજ થયેલી ગેસ લાઈનને બંધ કરવા માટે સંબંધિત તંત્રને જાણ કરી હતી.
ચંદ્રુમાણા ગામે રામનવમી નિમિત્તે યજ્ઞ યોજાયો:જામબાઈ મૈયા મંદિરે સર્વજ્ઞાતિ માટે ભોજન પ્રસાદનું આયોજન
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલા આઈ જામબાઈ મૈયા શક્તિપીઠ અને જોગણી માતાના મંદિરે રામનવમી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શુક્રવારે દેસાઈ ગોવિંદભાઈ વરવાભાઈના યજમાનપદે સંપન્ન થયો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે ગોવિંદભાઈ દેસાઈ અને તેમના પુત્ર રામેશ્વર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યજ્ઞમાં આહુતિ આપી આરતી ઉતારી હતી. વિદ્વાન પંડિતો ભરતભાઈ દવે અને આશિષભાઈ મહેતા (સેવાળા) દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે દેસાઈ પરિવારો સહિત બ્રાહ્મણ, પટેલ અને અન્ય તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ ડેલિકેટ પ્રમોદભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદના નીતિનભાઈ વ્યાસ, પૂર્વ સરપંચ શૈલેષભાઈ દેસાઈ અને વિષ્ણુભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે આ મંદિરમાં વર્ષમાં બે વખત, દશેરા અને રામનવમીના પવિત્ર દિવસે, યજ્ઞનું આયોજન કરવાની પરંપરા છે.
નવસારી-અમલસાડ રોડ પર બસ-મોપેડ અકસ્માત:એક યુવાનનું મોત, અન્ય ઇજાગ્રસ્ત
નવસારી-અમલસાડ રોડ પર આજે એક માર્ગ અકસ્માત થયો હતો. અમલસાડથી નવસારી જતી એસટી બસ અને સામેથી આવતા મોપેડ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની બસ સાથે મોપેડ પર સવાર બે યુવાનો અથડાયા હતા. આ અકસ્માતમાં મોપેડ સવાર ધવલ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મોપેડ પર સવાર અન્ય યુવાન પ્રીત રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એસટી બસના ચાલકની પૂછપરછ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
પત્નીના અવસાન બાદ એક સિનિયર સિટિઝન પિતા દ્વારા પોતાના જ પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કરેલી ભરણપોષણ તેમજ ઘર ખાલી કરાવવાની અરજી મેન્ટેનન્સ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, પિતા પાસે પૂરતી મિલકત અને રકમ હોવા છતાં પુત્ર પાસે ખોટી રીતે ભરણપોષણની માંગ કરવામાં આવી રહી છે. પત્નીના નામે ઘર હોવાનું જાણતા જ પુત્રને કાઢવા મથ્યાપત્નીના અવસાન બાદ પિતાએ વડીલોપાર્જિત ઘર છોડીને દીકરીના ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, પાછળથી પિતાને જાણ થઈ કે જે ઘરમાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી રહે છે તે ઘર વાસ્તવમાં પત્નીના નામે જ હતું. આ મિલકત પત્નીની હોવાનું માલૂમ પડતા પિતાએ તે ઘરનો કબજો મેળવવા અને પુત્રના પરિવારને ત્યાંથી બહાર કાઢવા કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું હતું. 12 લાખની ફિક્સ ડિપોઝિટ પિતા અને દીકરીએ વાપરી નાખીપુત્ર અને પુત્રવધૂ તરફે એડવોકેટ શિવાની ચ્હાવાળાએ ધારદાર દલીલો કરી હતી કે, માતાના નામે 12 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) હતી. આ રકમમાં પુત્રનો હિસ્સો હોવા છતાં પિતા અને દીકરીએ તે રકમ વાપરી નાખી હતી. આમ, આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પિતાએ પુત્ર પાસે 10 હજાર રૂપિયાના માસિક ભરણપોષણની માંગણી કરી હતી, જે તદ્દન ગેરવાજબી હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. ટ્રિબ્યુનલે અરજી નકારતા શું નોંધ્યું?ટ્રિબ્યુનલે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પિતાને અગાઉથી જ 65 હજાર રૂપિયા જેટલું ભરણપોષણ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે ભરણપોષણનો કેસ ઓલરેડી ચુકાદા પર હોય, ત્યારે સંબંધિત કોર્ટના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય જણાતો નથી. આ ઉપરાંત પિતા દીકરી સાથે રહેતા હોવાથી અને તેમની પાસે અન્ય આવકના સ્ત્રોત હોવાથી તેમની માંગણીઓ નકારી કાઢવામાં આવી હતી. વૃદ્ધ પિતાની ‘ઘરનો કબજો’ મેળવવાની દાનત પર પાણી ફરી વળ્યુંપિતાએ માત્ર ભરણપોષણ જ નહીં, પરંતુ પુત્ર જે ઘરમાં વર્ષોથી રહે છે તે ઘરનો કબજો પણ માંગ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની અરજીઓ સિનિયર સિટિઝન એક્ટના મૂળ હેતુનો દુરુપયોગ છે. પુત્ર અને તેના પરિવારને ઘરવિહોણા કરવાની પિતાની જીદ સામે કોર્ટે લાલ આંખ કરી હતી અને તમામ વચગાળાની રાહતો આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગાંધીનગર જિલ્લા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આગામી ટર્મ માટે પ્રમુખ પદના રોટેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા જાહેરનામા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતનું સર્વોચ્ચ પદ સામાન્ય શ્રેણી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે હવે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બિન-અનામત વર્ગના પુરુષ અથવા મહિલા ઉમેદવારની પસંદગીનો માર્ગ મોકળો થયો છે. ખાસ વાત એ છે કે જિલ્લા કક્ષાએ મહિલા અનામતનો અલગથી કોઈ ઉલ્લેખ ન હોવાથી સામાન્ય વર્ગના કોઈપણ સભ્યને આ તાજ પહેરાવી શકાશે, જેના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં અત્યારથી જ દાવેદારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રમુખ પદના જ્ઞાતિગત સમીકરણો બદલાયાજિલ્લાની ચાર મુખ્ય તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ પદ માટેના જ્ઞાતિગત સમીકરણો બદલાયા છે. વિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર માણસા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવાનો નિર્ણયબીજી તરફ કલોલ તાલુકા પંચાયતને સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવી છે, જેનો અર્થ છે કે ત્યાં કોઈપણ વર્ગના ઉમેદવાર પ્રમુખ બની શકશે. જોકે સૌથી વધુ ગરમાવો દહેગામ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે આ બંને મહત્વની બેઠકો પર પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ફેરફારને કારણે આગામી સમયમાં વિજેતા પક્ષે સક્ષમ મહિલા ઉમેદવારોની શોધ માટે ભારે મથામણ કરવી પડશે. રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેરનોંધનીય બાબત એ છે કે, આ વખતે ગાંધીનગર જિલ્લા પંચાયત કે તેની અંતર્ગત આવતી ચાર પૈકીની એકપણ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવ્યું નથી. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના નિયમો મુજબ અમલમાં આવેલા આ રોટેશનના કારણે વર્ષોથી એક તરફી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. મહિલા નેતાઓની સક્રિયતામાં નોંધપાત્ર વધારોપ્રમુખ પદના અનામતની આ જાહેરાત થતાની સાથે જ ગાંધીનગરના ગ્રામિણ વિસ્તારોથી લઈને જિલ્લા મથક સુધી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ખાસ કરીને જે તાલુકાઓમાં મહિલા અનામત લાગુ થઈ છે, ત્યાં હવે મહિલા નેતાઓની સક્રિયતામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવતા સુરત માટે ફરી એકવાર પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 માટેની ગાઈડલાઈન્સ અને મહત્વની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે એપ્રિલ મહિનાથી જ સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા વેગવંતી બનશે, જેના કારણે સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અત્યારથી જ હરકતમાં આવી ગયું છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ડેટા અપડેશનની કામગીરીકેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ સુરત સહિત તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સંભવિત 5મી એપ્રિલ સુધીમાં MIS અને GMIS પોર્ટલ પર ડેટા અપડેટ કરવાનો રહેશે. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ સર્વેક્ષણમાં 31મી માર્ચ 2026 સુધીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આથી, છેલ્લા એક વર્ષમાં સુરત દ્વારા કરવામાં આવેલા કચરાના નિકાલ, ગટર વ્યવસ્થા અને સફાઈના પ્રોજેક્ટ્સની વિગતો ઓનલાઈન સબમિટ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. નાગરિકોનો ફીડબેક લેવાશેસ્વચ્છ સર્વેક્ષણમાં જનતાનો સહકાર સૌથી મોટું પાસું છે. આગામી 10મી એપ્રિલ 2026થી રાઉન્ડ ધ યર સિટીઝન ફીડબેકની પ્રક્રિયા શરૂ થશે. સુરતીલાલાઓ પોતાના શહેરની સફાઈ વ્યવસ્થા વિશે કેન્દ્ર સરકારને સીધો પ્રતિસાદ આપી શકશે. મ્યુનિસિપલ કમિશનર અને સફાઈ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ લોકો આ ફીડબેક પ્રક્રિયામાં જોડાય એવા પ્રયાસો કરવામાં આવશે. SLP ડોક્યુમેન્ટ સબમિશન અને ફિલ્ડ એસેસમેન્ટસમયપત્રક મુજબ સંભવિત 10મી એપ્રિલથી 15મી એપ્રિલ દરમિયાન SLP ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ 16મી એપ્રિલથી 31મી મે 2026 સુધી કેન્દ્રીય ટીમ દ્વારા સુરત શહેરમાં ફિલ્ડ એસેસમેન્ટ કરવામાં આવશે. આ દોઢ મહિના દરમિયાન દિલ્હીથી આવેલી ટીમો શહેરના જાહેર શૌચાલયો, કચરાના ડમ્પિંગ સાઈટ્સ, રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ માર્કેટ્સની આકસ્મિક મુલાકાત લઈને સફાઈની ગુણવત્તા તપાસશે. સુરતે પોતાની કામગીરીના જોરે જ પોઈન્ટ્સ મેળવવાના રહેશેઆ વખતે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, એસેસમેન્ટ પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પ્રભાવમુક્ત રહેવી જોઈએ. મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ બહારથી આવતા તપાસકર્તાઓને રહેવા, જમવા કે મુસાફરીની કોઈ સુવિધા પૂરી પાડી શકશે નહીં. સુરતે પોતાની કામગીરીના જોરે જ પોઈન્ટ્સ મેળવવાના રહેશે. શહેરીજનો દ્વારા અપાતો પ્રતિસાદ જેન્યુઈન હોય તે જોવાની જવાબદારી પણ તંત્રની રહેશે. સુરત શહેર અગાઉ પણ ગાર્બેજ ફ્રી સિટી અને વોટર પ્લસ રેટિંગ મેળવી ચૂક્યું છે. 2025-26ના આ સર્વેક્ષણમાં સુરત ફરી એકવાર દેશમાં પ્રથમ ક્રમ મેળવે તે માટે મહાનગરપાલિકા સ્વચ્છતામ પોર્ટલ પર સીટી પ્રોફાઈલ અપડેટ કરવામાં લાગી ગયું છે. એપ્રિલમાં શરૂ થનારી આ કસોટી માટે સુરતીઓએ પણ કચરો અલગ રાખવો, સાર્વજનિક સ્થળોએ ગંદકી ન કરવી અને ફીડબેક આપીને શહેરને સહયોગ આપવો અનિવાર્ય બનશે.
રાજકોટ શહેરમાં કોળી ઠાકોર સમાજના યુવક સુરેશભાઈ સાથે કથિત રીતે પોલીસ દ્વારા મારામારી થયાની ઘટના સામે આવી છે. આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને ઘટનાની જાણ થતાં જ કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. સમાજ દ્વારા પીડિતને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાને પગલે કોળી સમાજના યુવા નેતા અને સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સક્રિય બન્યા છે. તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે કે પીડિત યુવકને ન્યાય અપાવવા તેઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને કોઈ પણ પ્રકારની અયોગ્યતા સહન કરવામાં નહીં આવે. ધારાસભ્ય વિમલ ચુડાસમા આવતીકાલે બપોરે 12 વાગ્યે રાજકોટ ખાતે પીડિત સુરેશભાઈની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઘટનાની વિગતવાર માહિતી મેળવી આગળની કાનૂની અને સામાજિક કાર્યવાહી અંગે વિચારણા કરશે. તેમણે કોળી સમાજના આગેવાનો અને યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહી એકતા દર્શાવવા પણ અનુરોધ કર્યો છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. જોકે, પોલીસ તરફથી હજુ સુધી સમગ્ર ઘટના અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ મુદ્દે કઈ દિશામાં કાર્યવાહી થાય છે અને પીડિત યુવકને કેટલો ન્યાય મળી શકે છે.
ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની બેઠકમાં 60% વેરા વસૂલાત થતાં પ્રથમવાર સફાઈ માટે સરકારી ગ્રાન્ટ મળવાપાત્ર થઈ છે. આ સાથે, ગામના આયુષ્માન મંદિરની જગ્યા અંગેના ઠરાવ પર સભ્યોની સર્વસંમતિ સધાઈ હતી. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે ગ્રામ પંચાયતને સફાઈ માટે રૂ. 77,240ની સરકારી ગ્રાન્ટ મળશે. સરકારના નિયમ મુજબ, 50%થી વધુ વેરા વસૂલાત થાય તો સફાઈ વેરા જેટલી ગ્રાન્ટ મળવાપાત્ર બને છે, અને પંચાયતે અંદાજે 60% વેરા વસૂલાત કરી છે. ગામના આયુષ્માન મંદિરની કામગીરી ઝડપી બનાવવા માટે જગ્યાના પ્રશ્નનો ઉકેલ આવતા સભ્યોએ ઠરાવ પસાર કરવા સંમતિ આપી હતી. બેઠકમાં આવેલી અરજીઓ પર નિયમોનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઈટ સેવાને વધુ અસરકારક બનાવવા માટે પણ સૂચનો કરાયા હતા. સભ્ય નાથાભાઈ ચાવડા અને ભરતભાઈ દેસાઈએ મેલડી માતાની લાંબી લાઈનને વિભાજિત કરવા અને પાણીના હવાડા માટે લાઈન લિન્કેજ આપવા રજૂઆત કરી હતી. વેરા વસૂલાતમાં સભ્યો બળવંતસિંહ દરબાર અને વજાજી ઠાકોરની જહેમતની સૌએ નોંધ લીધી હતી. સરપંચે જણાવ્યું હતું કે ગામમાં હાલમાં જેટલા પાણીની લાઈનના લીકેજ છે તેની યાદી બનાવવામાં આવી રહી છે અને તેને ઝડપથી નિવારવામાં આવશે. રોહિત સમાજની વાડી બનાવવા અંગે સભ્યો નાથાભાઈ ચાવડા અને રજનીભાઈ ચાવડાએ મૌખિક રજૂઆત કરી હતી. સરપંચ કાજલબેને માહિતી આપી હતી કે પાણીના બોર ઉપર આવેલા બંને સમ્પમાં લોખંડના ઢાંકણા સ્વખર્ચે બનાવીને આપી દીધા છે. આ બેઠકમાં સરપંચ કાજલબેન વ્યાસ, તલાટી ભરતભાઈ ઠાકોર, ઉપસરપંચ રણજીતજી મોબુજી ઠાકોર, સભ્યો ગીતાબેન પટેલ, બળવંતસિંહ પરમાર, નાથાભાઈ ચાવડા, રજનીભાઈ ચાવડા, વજાજી ઠાકોર, ભલાભાઈ દેસાઈ અને ભરતભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી આ સુવિધા પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અને સાબરમતી ગેસ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગેસ જોડાણ મેળવવા ઈચ્છતા નવા ગ્રાહકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. PNG કનેક્શન લેનાર ગ્રાહકોને રૂ.500ની છૂટસરકારના આદેશ અનુસાર પ્રત્યેક ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે સાબરમતી ગેસ કંપનીએ નવા PNG કનેક્શન મેળવનાર તમામ ગ્રાહકોને રૂ. 500 ની વિશેષ છૂટ આપવાનું નક્કી કર્યું છે. આ સાથે જ વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે 'સિટી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક' હેઠળ અરજી કર્યાના માત્ર 24 કલાકમાં જ મંજૂરી આપવાની નવી યોજના પણ અમલી બનાવવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 1 લાખથી વધુ ડોમેસ્ટિક ગ્રાહકોજિલ્લામાં ગેસ નેટવર્કની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા જણાવવામાં આવ્યું હતું કે, હાલ મહેસાણા જિલ્લામાં કુલ 1,06,490 ડોમેસ્ટિક ગ્રાહકો, 410 કોમર્શિયલ એકમો અને 204 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કાર્યરત છે. જિલ્લાના કુલ 114 ગામોમાં ગેસ લાઈન વિસ્તરેલી છે. જેમાં મહેસાણાના 35, વિજાપુર અને કડીના 25-25, વિસનગરના 16, ઊંઝાના 8 અને વડનગરના 5 ગામોનો સમાવેશ થાય છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવવા કંપનીએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધબેઠકના અંતે જિલ્લામાં ઈંધણની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નિયમિતપણે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.
સુરત મહાનગરપાલિકા હાલમાં આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે મથામણ કરી રહી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે, તો બીજી તરફ તંત્રના જ કેટલાક અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિને કારણે શહેરભરમાં પાલિકાની મિલકતો પર ગેરકાયદેસર જાહેરાતોનો રાફડો ફાટ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાલિકાની મિલકતો પર લાગેલા ગેરકાયદેસર બેનરો અને હોર્ડિંગ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં, નીચલા સ્તરના અધિકારીઓ અને ઝોન કચેરીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પાલિકાની તિજોરીમાં કરોડોની વધારાની આવક થઈ શકેસુરત મનપાનું બજેટ હાલમાં 11 હજાર કરોડ રૂપિયા જેટલું મોટું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં પ્રોજેક્ટ્સ માટે સરકારી ગ્રાન્ટ અને પ્રોપર્ટી ટેક્સ પર નિર્ભર રહેવું પડે છે. જો ગેરકાયદેસર જાહેરાતો પર નિયંત્રણ લાવી તેને કાયદેસર કરવામાં આવે, તો પાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાની વધારાની આવક થઈ શકે તેમ છે. આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરાશેકમિશનર નાગરાજન દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટે પહેલીવાર નૉન-ટેક્સ રેવન્યુ સેલની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈના નેતૃત્વમાં આ સેલ દ્વારા આગામી દિવસોમાં નવી SOP તૈયાર કરવામાં આવશે. શહેરના જાહેર માર્ગો, બ્રિજની નીચેની જગ્યાઓ અને પાલિકાની ખાલી જગ્યાઓ પર ખાનગી કોચિંગ ક્લાસ, શાળાઓ અને અન્ય વ્યવસાયિક એકમો દ્વારા બેફામ રીતે બેનરો લગાવી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ એજન્સીઓ વિરુદ્ધ કોઈ દંડનીય કાર્યવાહી ન કરાતા તેઓ વધુ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. મનપા જાહેરાત અને હોર્ડિંગ્સની આવકમાં ઘણું પાછળરિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાની સરખામણીએ સુરત મનપા જાહેરાત અને હોર્ડિંગ્સની આવકમાં ઘણું પાછળ છે. સુરતમાં પ્રાઈમ લોકેશન હોવા છતાં યોગ્ય નીતિના અભાવે અથવા તંત્રની શિથિલતાને કારણે રેવન્યુમાં મોટો ફટકો પડી રહ્યો છે.
પાટણવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પાટણ ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ના ધોરણે ₹17 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ મંત્રીએ ટિકિટ બારી સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. આ બસપોર્ટને પાટણની ઐતિહાસિક વિરાસત રાણકીવાવ અને વિશ્વપ્રસિદ્ધ પટોળાના પેન્ટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. મુસાફરોની અવરજવર માટે કુલ 18 પ્લેટફોર્મ આ આધુનિક બસપોર્ટ 15,974 ચોરસ મીટરના કુલ વિસ્તારમાં ફેલાયેલું છે, જેનું બિલ્ટઅપ ક્ષેત્રફળ 2,583 ચોરસ મીટર છે. મુસાફરોની અવરજવર માટે કુલ 18 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. મુસાફરોની સુવિધા માટે અહીં 888 ચોરસ મીટરમાં ફેલાયેલો પેસેન્જર કોન્કોર્સ વિસ્તાર, જનરલ વેઈટિંગ રૂમ, લેડીઝ વેઈટિંગ રૂમ અને વોલ્વો બસના મુસાફરો માટે ખાસ વેઈટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બસપોર્ટ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ઉપરાંત, 450 ચોરસ મીટરમાં કેન્ટીન, રેસ્ટોરન્ટ અને કિઓસ્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. બસપોર્ટને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં સીસીટીવી કેમેરા, ડિજિટલ ડિસ્પ્લે સાથેની માહિતી પ્રણાલી, ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્રનો સમાવેશ થાય છે. મુસાફરો માટે લગેજ ટ્રોલી, વ્હીલ ચેર અને કલૉક રૂમ જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવશે. વહીવટી કામગીરી માટે અલગ ઓફિસ, પાર્સલ રૂમ અને સ્ટોર રૂમની પણ જોગવાઈ છે. વાણિજ્યિક દ્રષ્ટિએ, આ બસપોર્ટમાં રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, વ્યાવસાયિક ઓફિસો, શો-રૂમ અને સિનેમા હોલ જેવી આધુનિક સગવડો વિકસાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી, તેમજ સ્થાનિક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે હર્ષ સંઘવીએ પાટણ બસપોર્ટને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી નાગરિકોની હોવાનું જણાવ્યું હતું. આ તકે પાટણ જિલ્લામાં 2 એસી બસ ફાળવવાની જાહેરાત કરાઈ હતી અને રાધનપુરથી પ્રવાસન માટે એક નવી બસ ચાલુ કરવાની ખાતરી આપી હતી. વધુમાં, હર્ષ સંઘવીએ કાયદો અને વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા લુખ્ખા અને અસામાજિક તત્વોને સીધા કરવાનો જે સંકલ્પ લેવાયો છે, તેને વધુ મજબૂત બનાવવામાં આવશે. સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની ચિંતા કે તકલીફ ન પડે તેવી સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવી એ સરકારની પ્રાથમિકતા છે.છેલ્લા 1 વર્ષમાં 2700 થી વધુ અસામાજિક તત્વો પાસેથી સરકારી કે ગેરકાયદેસર જગ્યાઓ ખાલી કરાવવામાં આવી છે.ખાલી કરાયેલી જગ્યાઓ પર માત્ર કબજો જ નથી હટાવ્યો,પણ ત્યાંજનતા માટે ઉપયોગી સુવિધાઓ જેવી કે નવા પોલીસ સ્ટેશનો, PHC અને CHC (આરોગ્ય કેન્દ્રો) નું નિર્માણ કરવામાં આવ્યું બસપોર્ટમાં આ પ્રકારની હશે સુવિધાદિવ્ય ભાસ્કર દ્વારા નવીન શરૂ થયેલ બસ પોર્ટ કેવી સુવિધાઓ છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મુખ્યત્વે બસ સ્ટેશનની અંદર અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એકસાથે 500થી વધુ મુસાફરો આરામદાયક ચેરમાં બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સામે બે પ્લેટફોર્મ હશે જેમાં એકસાથે 18 બસ ઉભી રહેશે. બસમાં ચડવા માટે અલગ સ્થળે પ્લેટફોર્મ હશે તેમ જ બસ રિટર્ન આવશે ત્યારે મુસાફરોને ઉતારવાનું પ્લેટફોર્મ પણ અલગ હશે. વોલ્વો બસ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ટ્રાફિકની સમસ્યાના સર્જાય માટે બસનો એન્ટ્રી ગેટ અને બહાર નીકળવા માટે એકઝીટ ગેટ બંને અલગ અલગ બનાવવામાં આવ્યો છે. જેથી ટ્રાફિકની સમસ્યા મહદ અંશે સર્જાશે નહીં. 2700 વાહન પાર્ક થઈ શકે તેવું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, બેઠક, પાણી સહિતની સુવિધાઓ 500 મુસાફરોની બેઠક વ્યવસ્થા :- સ્ટીલના આરામદાયક બાંકડા 100થી વધારે ગોઠવાશે.જેમાં એકસાથે 500થી વધુ મુસાફરો બસ માટે વેઇટિંગ કરીને બેસી શકશે. ચડવા ઉતરવા અલગ પ્લેટફોર્મ :- ડેપોમાં ચાર પ્લેટફોર્મ પેસેન્જર ઉતરવા માટે છે અને મુસાફરોની સેફટી માટે પ્રોટેક્શન રેલિંગ લગાડવામાં આવી છે. LED ટીવીમાં રૂટ દેખાશે :-14 પ્લેટફોર્મ મુસાફરોને રૂટ વાઇસ અમદાવાદ, ડીસા, બેચરાજી, કચ્છ, ભુજ સહિતના રૂટ પ્રમાણે પ્લેટફોર્મ રહેશે. દરેક પ્લેટફોર્મ ઉપર એલઇડી ટીવી મારફતે બસ રૂટ દર્શાવવામાં આવશે. RO પ્લાન્ટ, કેન્ટીન :- મુસાફરોને ડેપોમાં પીવાના પાણી માટે ચોખ્ખું અને શુદ્ધ પાણી મળી રહે માટે આરો પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. ચા પાણી અને જમવા સુધીની સુવિધા માટે કેન્ટીન પણ બની છે. બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ : -સૌથી વધુ ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહન પાર્ક કરવા માટે બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે. જેમાં અંદાજે 2700 જેટલા નાના મોટા વાહનો પાર્કિંગ થઈ શકશે. પાર્કિંગના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંને અલગ અલગ હશે. આકર્ષક કંટ્રોલ પોઇન્ટ :- કંટ્રોલ પોઇન્ટમાં એક સાથે પાંચથી વધુ મુસાફરો પૂછપરછ કરી શકે માટે સ્ટાફ સાથેનો આકર્ષક કંટ્રોલરૂમ હશે.મુસાફરી વિદ્યાર્થી પાસ માટે અલગ કાઉન્ટર વ્યવસ્થા હશે
સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત હવે વહીવટી ક્ષેત્રે પણ દેશનું રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પાલિકાના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા હવે તેની તમામ વિકાસલક્ષી અને જાળવણીની કામગીરી માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (PMS) શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમના અમલીકરણ સાથે જ સુરત મનપા પેપરલેસ કાર્યપદ્ધતિ તરફ આગળ વધશે, જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને જનતાના કામો ઝડપથી પૂર્ણ થશે. હવે ફાઈલો ટેબલ પર નહીં અથડાયઅત્યાર સુધીની પરંપરાગત પદ્ધતિમાં સુરત મહાનગરપાલિકાના નાનામાં નાના કામ, જેમ કે રૂપિયા 50,000 સુધીના સમારકામ કે મેન્ટેનન્સ માટે પણ મંજૂરી મેળવવાની પ્રક્રિયા જટિલ હતી. કોઈ વિસ્તારમાં રસ્તો તૂટ્યો હોય કે ગટરની સમસ્યા હોય, ત્યારે તેની મંજૂરી લેવી, ફાઈલ તૈયાર કરવી, એન્જિનિયરના રિપોર્ટ લેવા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કાપવો આ આખી પ્રક્રિયામાં સરેરાશ 15 થી 20 દિવસનો સમય વીતી જતો હતો. આ વિલંબને કારણે અંતે તો સામાન્ય જનતાએ જ હાલાકી ભોગવવી પડતી હતી. નવી પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આ લાંબા દિવસોના સમયગાળાને ઘટાડીને માત્ર થોડા કલાકો કે એક દિવસમાં સીમિત કરી દેશે. આ સિસ્ટમમાં ડિજિટલ એપ્રુવલ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફાઈલો ફિઝિકલી એક ટેબલથી બીજા ટેબલ પર મોકલવાની જરૂર રહેશે નહીં. અધિકારીઓ વચ્ચેની મિલીભગત પર મોટો ફટકો પડશેઆ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પુરાવા આધારિત કાર્ય કરશે. જે તે ઝોનના જવાબદાર એન્જિનિયર કે અધિકારીએ જે સ્થળે કામ કરવાનું છે તેના લાઈવ લોકેશન સાથેના ફોટા સિસ્ટમમાં અપલોડ કરવાના રહેશે. કામ શરૂ કરતા પહેલા પરિસ્થિતિ કેવી છે તેના ફોટા અને વિગતો સિસ્ટમમાં મુકાશે. ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓ પોતાના મોબાઈલ કે ડેશબોર્ડ પર આ પુરાવા જોઈને ઓનલાઈન જ મંજૂરીની મહોર મારશે. કામ પૂર્ણ થયા બાદ ફરીથી તેના ફોટા અપલોડ કરવાના રહેશે, જેથી કામ ખરેખર થયું છે કે નહીં તેની ખાતરી કરી શકાય. આ પ્રક્રિયાથી બોગસ બિલિંગની શક્યતાઓ નહિવત થઈ જશે અને કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ વચ્ચેની મિલીભગત પર મોટો ફટકો પડશે. ટ્રેકિંગ કમિશનર લેવલ સુધી થઈ શકશેકમિશનરના જણાવ્યા અનુસાર, સુરત જેવા મહાનગરમાં દરરોજ સેંકડો નાના-મોટા કામો નીકળતા હોય છે. વર્ષે દહાડે હજારો ફાઈલોનો ખડકલો થતો હોય છે. નવી સિસ્ટમથી કાગળનો વપરાશ ઘટતા પર્યાવરણનું રક્ષણ થશે અને ઓફિસોમાં ફાઈલોના થપ્પા ઓછા થશે. જે કામ માટે 15 દિવસ બગડતા હતા તે હવે ત્વરિત થતા મનપાના મેનપાવરનો ઉપયોગ અન્ય રચનાત્મક કામોમાં થઈ શકશે. ગલી-મહોલ્લાના નાના કામો ઝડપી થતા લોકોમાં પાલિકા પ્રત્યેનો વિશ્વાસ વધશે. કોઈપણ કામ કયા તબક્કે અટક્યું છે તેનું ટ્રેકિંગ કમિશનર લેવલ સુધી થઈ શકશે. ડિજિટલ પુરાવા હોવાથી કામની ગુણવત્તા તપાસવી સરળ બનશેનવી સિસ્ટમ માત્ર પાલિકા માટે જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. અગાઉ કામ પૂરું થયા પછી પેમેન્ટ મેળવવા માટે અને મંજૂરી માટે કોન્ટ્રાક્ટરોએ ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. હવે ડિજિટલ પુરાવા હોવાથી કામની ગુણવત્તા તપાસવી સરળ બનશે અને તેમના પેમેન્ટની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
ગોધરામાં કિન્નર સમાજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ કરી:જવારા વિસર્જન અને મહાપ્રસાદનું આયોજન કરાયું
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કિન્નર સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. નવ દિવસના અનુષ્ઠાન બાદ આજે જવારા વિસર્જન યાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ ગોધરાના કિન્નર સમાજ દ્વારા માતાજીના જવારાનું સ્થાપન કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. નવ દિવસ સુધી વિધિવત પૂજા-અર્ચના અને ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી.નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે કિન્નર સમાજના અગ્રણીઓના હસ્તે માથે જવારા ધારણ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.પરંપરાગત રીત-રિવાજ મુજબ, જવારાનું પવિત્ર જળાશયમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ કિન્નર સમાજ દ્વારા ભંડારા (મહાપ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાડી યુદ્ધની વૈશ્વિક અસરો અને યાર્નના આસમાને પહોંચેલા ભાવને કારણે વિવર્સની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગને બચાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) દ્વારા હાથ ધરવામાં આવેલા ગૂગલ ફોર્મ સર્વેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં સામેલ 85% જેટલા વિવર્સે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે હવે પ્રોડક્શન કાપ સિવાય કોઈ અન્ય વિકલ્પ બચ્યો નથી. આ સ્થિતિમાં આગામી શનિવારે યોજાનારી જાહેર સભા ઉદ્યોગનું ભવિષ્ય નક્કી કરશે. 85% વિવર્સે કહ્યું ‘હવે કાપ અનિવાર્ય’ફેડરેશન દ્વારા આધુનિક અભિગમ અપનાવીને ગૂગલ ફોર્મ દ્વારા વિવર્સના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અંદાજે 2000થી વધુ વિવર્સે આ સર્વેમાં ભાગ લીધો છે. જેમાં સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે 85% જેટલા ઉદ્યોગકારો પ્રોડક્શન કાપ મૂકવાની તરફેણમાં છે. વિવર્સનું માનવું છે કે બજારમાં માલનો ભરાવો થઈ રહ્યો છે અને સામે ગ્રાહક ન હોવાથી નુકસાન વધી રહ્યું છે. આ સર્વેના પરિણામો સાબિત કરે છે કે ઉદ્યોગમાં જમીની સ્તરે કેટલી ગંભીર નકારાત્મક અસર જોવા મળી રહી છે. યાર્નના ભાવમાં તોતિંગ વધારો અને માર્કેટમાં ગ્રાહકનો અભાવ સુરતના વિવર્સ અત્યારે બેવડી માર સહન કરી રહ્યા છે. એક તરફ કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે. બીજી તરફ, તૈયાર કાપડના ભાવ વધતા બજારમાં ખરીદનાર વર્ગ ગાયબ છે. મોંઘા ભાવનું યાર્ન લઈને તૈયાર કરેલું કાપડ ગોડાઉનોમાં પડ્યું રહ્યું છે. પરિણામે વિવર્સની વર્કિંગ કેપિટલ બ્લોક થઈ ગઈ છે. આ આર્થિક ચક્ર અટકી જતાં હવે ઉત્પાદન ઘટાડીને સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 15% કારીગરોનું પલાયન, ટેક્સટાઇલ યુનિટોમાં મજૂરોની અછતસૌથી મોટી આડઅસર કારીગરો પર પડી રહી છે. કામ ઓછું થવાને કારણે અને ભવિષ્યની અનિશ્ચિતતાને જોતા અંદાજે 15% જેટલા કારીગરો અત્યારથી જ વતનની વાટે રવાના થઈ ગયા છે. ઉદ્યોગકારો માટે આ એક ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે જો વધુ કારીગરો જતા રહેશે તો ભવિષ્યમાં જ્યારે માર્કેટ સુધરશે ત્યારે મશીનો ચલાવવા માટે માણસો નહીં મળે. પલાયન રોકવા માટે કારખાના ચાલુ રાખવા જરૂરી છે, પરંતુ સતત થતા નુકસાનને કારણે વિવર્સ લાચાર બન્યા છે. વિવિધ વિકલ્પો પર મંથન, એક પાળી કે અઠવાડિયે બે રજા?સર્વેમાં વિવર્સ પાસે વિવિધ વિકલ્પો પર મંતવ્ય માંગવામાં આવ્યા હતા. ઉદ્યોગકારોમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. કારખાનાઓને બે પાળીના બદલે માત્ર એક જ પાળીમાં ચલાવવા. અઠવાડિયામાં બે દિવસ (શનિ-રવિ) ફરજિયાત રજા રાખવી અથવા તો આખા મહિનાનું વેકેશન જાહેર કરવું. મોટાભાગના વિવર્સ અઠવાડિયામાં બે રજા અથવા સિંગલ શિફ્ટના વિકલ્પને ટેકો આપી રહ્યા છે જેથી કારીગરો પણ ટકી રહે અને ઉત્પાદન પર પણ બ્રેક લાગે. ખાડી યુદ્ધને કારણે એક્સપોર્ટ માર્કેટમાં મોટો ફટકોસુરતના કાપડ ઉદ્યોગ માટે દુબઈ અને ખાડી દેશો એક મોટું માર્કેટ છે. જોકે, વર્તમાનમાં શરૂ થયેલા ખાડી યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ અને પેમેન્ટ સાયકલ ખોરવાઈ ગઈ છે. દુબઈ ખાતે થતું એક્સપોર્ટ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. સ્થાનિક બજારમાં પણ તેની મનોવૈજ્ઞાનિક અસર જોવા મળી રહી છે. ગ્રાહકો ખરીદી કરતા ડરી રહ્યા છે, જેના કારણે સુરતના અબજો રૂપિયાના ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગ પર બ્રેક લાગી ગઈ છે. શનિવારની જાહેર સભામાં લેવાશે ઐતિહાસિક નિર્ણયફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન હવે વિવિધ નાના-મોટા એસોસિએશનો સાથે બેઠક કરી રહ્યું છે. સર્વેના રિપોર્ટના આધારે આગામી શનિવારે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં સુરતના તમામ વિવર્સની હાજરીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવશે. પ્રોડક્શન કાપ કેટલા સમય માટે રાખવો અને તેની અમલવારી કેવી રીતે કરવી, તેની સત્તાવાર જાહેરાત આ દિવસે કરવામાં આવશે. ઉદ્યોગ જગતની નજર હવે આ શનિવારના નિર્ણય પર ટકેલી છે.
માલવણ હાઇવે પર 4.92 લાખનો દારૂ ઝડપાયો:રામદેવ હોટલ પાછળથી 1992 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-ધાંગધ્રા હાઇવે રોડ પર પીપળી ચોકડી પાસે આવેલી રામદેવ હોટલની પાછળના ભાગે આવેલા બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બજાણા પોલીસે કુલ 4,92,000 રૂપિયાની કિંમતની 1344 નાની ઇંગ્લીશ દારૂની બોટલો અને 648 બિયરના ટીન સહિત કુલ 1992 શીલબંધ બોટલો જપ્ત કરી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદી સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ધાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા અને તેમની ટીમ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પીપળી ગામ જતા રોડ પર કેનાલ પાસે પહોંચતા એ.એસ.આઇ. બળવંતસિંહ ઝીલુભા સોલંકી અને પો.કોન્સ. ધ્રુવરાજસિંહ ધમેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, પીપળી, તા. પાટડીનો આરીફખાન નશીબખાન મલેક માલવણ હાઇવે રોડ પર રામદેવ હોટલની પાછળના ભાગે બહારથી ઇંગ્લીશ દારૂ મંગાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન, પોલીસે સ્થળ પરથી 4,92,000 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આરીફખાન નસીબખાન દાદુખાન મલેક (ઉ.વ. 28, ધંધો-ખેતી, રહે. પીપળી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, હોટલ ચલાવનાર દીપારામ ભોમારામ (રહે. રાજસ્થાન) અને ભોમારામ લક્ષ્મણરામ (રહે. રાજસ્થાન) વિરુદ્ધ પણ પ્રોહીબિશન એક્ટ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંને આરોપીઓ રેડ દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે.વાઘેલા, એ.એસ.આઇ. બળવંતસિંહ ઝીલુભા સોલંકી, પો.હેડ કોન્સ. વલ્લભભાઇ બાબુભાઇ, પો.હેડ.કોન્સ. હિતેષકુમાર બળદેવભાઇ, પો.કોન્સ. શક્તિભાઇ પ્રભુભાઇ, પો.કોન્સ. ભગીરથસિંહ બળવંતસિંહ અને પો.કોન્સ. ધ્રુવરાજસિંહ ધમેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મુમતાઝબેન અયુબભાઈ પઢાણા (ઉં.વ.42)એ આજે મોડી રાત્રિના 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળનું કારણ કૌટુંબિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે. જેમાં મુમતાઝબેનનો નાનો પુત્ર ઘરની બહાર રમવા ગયો હતો જે બાબતે તેના પિતા અયુબભાઈએ પુત્રને ઠપકો આપ્યો હતો. સંતાનને ઠપકો આપવાની આ વાત મુમતાઝબેનને ન ગમતા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ મનદુઃખમાં આવેશમાં આવી ગયેલા મુમતાઝબેને રાત્રિના સમયે ફીનાઈલ પી લીધું હતું. ઉલ્લેખનીય છે કે મુમતાઝબેનને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. હોસ્પિટલ ચોકી દ્વારા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નાણાંવટી ચોકમાં રહેતા મહિલાનો લાઇટ હાઉસ પાસે તળાવમાં ઝંપલાવી આપઘાત જીજ્ઞાબેન આકાશભાઈ શુક્લા (ઉં.વ.40)નો મૃતદેહ ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ નવા 150 ફૂટ રીંગ રોડ પર લાઇટ હાઉસ પાછળ પરશુરામ મંદિર નજીકના તળાવમાંથી મળી આવ્યો હતો. તળાવ આસપાસના ખેતરમાં કામ કરતા શ્રમિકોએ કોઈ મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસને કરી હતી જેથી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. મૃતકના પરિવારનો સંપર્ક થતા જાણવા મળ્યું હતું કે, મૃતક જીજ્ઞાબેનને સંતાનમાં 9 વર્ષની દીકરી છે. પતિ પ્રાઈવેટ નોકરી કરે છે. જીજ્ઞાબેન સવારે ઘરેથી નિકળી ગયા હતા. પરિવાર શોધતો હતો ત્યાં તેમની લાશ મળી હતી. મૃતકને ચામડીની બીમારી હતી. તેથી પ્રાથમિક તબક્કે બીમારીથી કંટાળી પગલું ભર્યાનું અનુમાન છે જો કે પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. અગ્નિવીરની આર્મી ભરતી પ્રક્રિયામાં ગ્રાઉન્ડ ટેસ્ટ વખતે દોડતા-દોડતા પડી ગયેલા યુવાનને પગમાં ફ્રેક્ચર રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હાલ અગ્નિવીરની આર્મી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અનેક યુવાનો પોતાના દેશસેવાના સપનાને સાકાર કરવા માટે ઉમટી પડ્યા છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંધોજ ગામનો 20 વર્ષીય યુવાન ભાવેશ રમેશભાઈ કોટડીયા શારીરિક કસોટી આપવા માટે આવ્યો હતો. બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે 1600 મીટરની દોડ ચાલી રહી હતી ત્યારે ભાવેશ ઉત્સાહભેર દોડી રહ્યો હતો. જો કે કમનસીબે છેલ્લા રાઉન્ડ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે ગ્રાઉન્ડ પર પછડાયો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનો પગ ભાંગી ગયો હતો. તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેણે LRDની દોડની પરીક્ષા પણ પાસ કરી હતી. એ પરીક્ષા સમયથી જ તેને પગમાં થોડો-થોડો દુખાવો રહેતો હતો, તેમ છતાં અગ્નિવીર બનવાના જુસ્સા સાથે તે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ દોડના અંતિમ તબક્કે જ જૂની ઈજા અથવા અચાનક આવેલ ખેંચાણને કારણે તે પછડાતા તેનું સેનામાં જોડાવાનું હાલનું સપનું અધૂરું રહી ગયું છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દોઢેક મહિનાથી જુગારના રવાડે ચડેલા યુવાનને રૂ.20 લાખનું દેણું થઈ જતાં ફિનાઈલ પીધું હકીમભાઈ ઈસ્માઈલભાઈ બુકેરા (ઉ.વ.40) વ્યવસાયે કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. ઘરની તમામ જવાબદારી તેમના પર હતી, પરંતુ એક ટૂંકી લાલચ અને જુગારની લતે હસતા-રમતા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો છે. હકીમભાઈ છેલ્લા દોઢેક મહિનાથી તીનપત્તીનો જુગાર રમવાની અને રમાડવાની પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા હતા. શરૂઆતમાં નસીબ અજમાવવાની આ રમત ધીમે ધીમે વ્યસન બની ગઈ અને જોતજોતામાં તેઓ જુગારમાં 20 લાખ રૂપિયા જેવી મોટી રકમ હારી ગયા હતા. આર્થિક ભીંસમાંથી બહાર નીકળવા માટે તેમણે અન્ય સ્થાનેથી ઊંચા વ્યાજે નાણાં લેવાની શરૂઆત કરી હતી. પોતાનું 20 લાખનું દેણું ચૂકવવા માટે હકીમભાઈએ 10%ના ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. સમય જતાં વ્યાજનું વ્યાજ ચડતું ગયું અને લેણદારોની ઉઘરાણી વધવા લાગી. આર્થિક સંકડામણ અને વ્યાજખોરોના ડરને કારણે અંતે કંટાળીને તેમણે માલધારી ફાટક પાસે આત્મઘાતી પગલું ભર્યું હતું. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને આ મામલે આજીડેમ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ કરી રહી છે. ચેક બાઉન્સના કેસમાં પુરાવાઓના અભાવે આરોપીનો છુટકારો રાજકોટના બીજા એડી. ચીફ. જ્યુડી. મેજી. વી.ડી.મોઢ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નિલેશ મધુભાઈ મહેતાને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સેક્શન 138 હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીએ વ્યવસાયિક સંબંધોના આધારે રૂ.15,00,000 ઉધાર લીધા હતા અને તેના બદલામાં ત્રણ ચેક આપ્યા હતા, જે એકાઉન્ટ ક્લોઝડ હોવાને કારણે બાઉન્સ થયા હતા. જો કે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે ફરિયાદી પાસે રકમ આપવાનો કોઈ લેખિત કરાર કે દસ્તાવેજી પુરાવો નથી. કોર્ટે અવલોકન કર્યું કે આરોપી દ્વારા આપવામાં આવેલા ચેક કોઈ કાનૂની દેવાની ચુકવણી માટે નહીં પરંતુ માત્ર સિક્યુરિટી તરીકે આપવામાં આવ્યા હતા. ફરિયાદી કાનૂની રીતે વસૂલ કરી શકાય તેવું દેવું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી કોર્ટે આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ધર્મેશ નાનાલાલ શેઠ, હિત ધર્મેશ શેઠ અને અંકુર ધર્મેશ શેઠ રોકાયા હતા. ધોળકીયા સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનની બ્રેક ફેલ થતા બેકાબુ બની રાજકોટ શહેરના એ.જી.ચોકમાં યુનિવર્સીટી રોડ પરથી પસાર થઈ રહેલા ધોળકીયા સ્કૂલ વાનની બ્રેક અચાનક ફેઈલ થઈ જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી વાને રસ્તા પરના વાહનચાલકોને હડફેટે લીધા હતા જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ વાનમાં સવાર બાળકો અને અન્ય વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
હોટલના જનરેટરમાં આગ લાગી:વેરાવળમાં ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો
વેરાવળ સોમનાથ ચોકડી પાસે આવેલી હોટલ પુષ્પના જનરેટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.ફાયર વિભાગના કર્મચારીઓ હરપાલભાઈ ખેર અને સુનિલભાઈ ચુડાસમાએ ઝડપથી કાર્યવાહી કરીને જનરેટરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં આગના બનાવો વધવાની શક્યતા રહે છે. આથી, ફાયર વિભાગ દ્વારા આવા બનાવો અટકાવવા માટે તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે.
ગોધરાના રામસાગર તળાવ ખાતે પ્રભુ શ્રીરામની 3 ટન વજનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે પંચધાતુમાંથી નિર્મિત કરવામાં આવી છે અને તે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનશે. શહેરના મધ્યમાં આવેલા આ પૌરાણિક તળાવ ખાતે આજે શ્રીરામની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. શહેરની શોભામાં વધારો કરતી આ પ્રતિમા પંચધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે તેની મજબૂતી અને ધાર્મિક મહત્વ વધારે છે. તેનું કુલ વજન આશરે 3 ટન છે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિમાનું અનાવરણ કરી મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કર્યું હતું. ધારાસભ્ય રાઉલજીએ જણાવ્યું હતું કે, આ પ્રતિમા ગોધરાની સાંસ્કૃતિક વિરાસત અને રામભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક બની રહેશે. કાર્યક્રમમાં શહેરના વિવિધ સંગઠનો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રામભક્તો હાજર રહ્યા હતા.
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-૪ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ૧૯ લાખ ૧૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ ટેમ્પો નંબર GJ-14-Z-0016 નો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હલધરૂ ગામની સીમમાં ઉત્તરબુનિયાદી આશ્રમશાળાની સામે મુંબઈથી દિલ્હી જતા નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર-૪ પરથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટેમ્પો ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવી ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ૭ લાખ ૮૩ હજાર ૬૦૦ રૂપિયા કિંમતની ૨,૮૩૨ નંગ વિદેશી દારૂની બોટલો, ૫ લાખ રૂપિયા કિંમતનો ટેમ્પો, ૬ લાખ ૧૯ હજાર ૫૦૦ રૂપિયા કિંમતની એસ મોર્ટર સીલની ૫૦૦ નંગ બોરીઓ (બેગ), ૭ હજાર રૂપિયા કિંમતનો એક મોબાઈલ ફોન અને ૧ હજાર રૂપિયા રોકડા મળી કુલ ૧૯ લાખ ૧૧ હજાર ૧૦૦ રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેમ્પો ચાલક સંજય વશરામ માધડ (ઉંમર ૨૫, ધંધો ડ્રાઇવિંગ, રહે. ડોળીયા ગામ, કોળીનાસનુ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ની અટકાયત કરી હતી. આ ઉપરાંત, વિદેશી દારૂનો જથ્થો ટેમ્પોમાં ભરી આપનાર મુકેશ જગા રાઠોડ (રહે. ડોળીયા ગામ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં 'સ્વાભિમાન સંમેલન' અને 'લોક દરબાર' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ જીગ્નેશ મેવાણી 26 જેટલા પડતર મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વહીવટી તંત્ર પર જાતિવાદી વલણ રાખવાનો અને માત્ર દલિત સમાજને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મેવાણીએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, સત્તા સ્થાને બેઠેલા અધિકારીઓ સરકારના નીતિ-નિયમો વિરુદ્ધ જઈને પોતાના ગજવા ભરવા મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. તમામ બાબત વચ્ચે જીગ્નેશ મેવાણી જ્યારે કલેક્ટરને આવેદન પાઠવવા પહોંચ્યા ત્યારે કલેક્ટર ઓફિસમાં મીડિયાને જવા દેવામાં આવ્યું નથી અને પોલીસ દ્વારા મીડિયાને દૂર રખાયું હતું. 'સરકાર સામાન્ય જનતાને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી'લોક દરબારમાં રજૂ થયેલી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. જીગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, જૂનાગઢનું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. અહીં અધિકારીઓ પર અહંકાર હાવી છે. નેતાઓ અધિકારીઓને છાવરે છે અને અધિકારીઓ નેતાઓના કાળા કામો પાર પાડે છે. અધિકારીઓ, નેતાઓ અને બિઝનેસમેનોની ત્રિપુટી મળીને આખા જૂનાગઢને લૂંટી રહી છે. ખનીજ માફિયાઓ પાસેથી 44 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વસૂલવાની બાકી હોવા છતાં તંત્ર મૌન છે. સરકાર સામાન્ય જનતાને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે અને ભૂ-માફિયાઓને પ્રોત્સાહન આપી રહી છે. દામોદર કુંડ અને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપજૂનાગઢ મહાનગરપાલિકા પર પ્રહાર કરતા મેવાણીએ કહ્યું કે, જનતાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે 'થાર' ગાડી ખરીદવામાં આવે છે, પરંતુ જૂનાગઢની જનતાએ હજુ સુધી આ ગાડી જોઈ પણ નથી. બીજી તરફ, ભાજપના હોદ્દેદારો અને નેતાઓ દ્વારા શહેરમાં થતા દબાણો સામે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ દલિત સમાજના ગરીબ ખેત મજૂરો જ્યારે પરિવારના ગુજરાન માટે જમીન ખેડે છે, ત્યારે તેમના પર 'લેન્ડ ગ્રેબિંગ'ના કેસ કરવામાં આવે છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, જો ભાજપના કાર્યાલય 'કમલમ'ની તટસ્થ રીતે DLR માપણી કરવામાં આવે, તો ત્યાં પણ પેસકદમી (દબાણ) બહાર આવશે. દામોદર કુંડ અને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનના કામોમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કલેક્ટરે ગુજસીટોકના આરોપીને હથિયાર લાયસન્સ આપ્યા હોવાનો આરોપજૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયા પર સીધો હુમલો કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, જેઓ અગાઉ 'ગુજસીટોક' ના આરોપી રહી ચૂક્યા છે, તેમને હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા છે. અન્ય જિલ્લાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને જૂનાગઢના રહેવાસી હોવાના ખોટા દાખલા કાઢી લાયસન્સ અપાયા છે. મેવાણીએ ચેતવણી આપી કે, જો ભવિષ્યમાં જિલ્લામાં કોઈ હિંસા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની રહેશે. જરૂરિયાતમંદ લોકોને લાયસન્સ મળતા નથી, જ્યારે ગુંડાઓને છડેચોક છાવરવામાં આવે છે. રાજકોટ પોલીસ અને DCP જગદીશ બાંગરવા સામે મોરચોરાજકોટના દલિત અગ્રણી ડી.ડી. સોલંકી વિરુદ્ધ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત ખોટા કેસો મામલે મેવાણીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજકોટ DCP જગદીશ બાંગરવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, જો આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી 14 એપ્રિલના રોજ રાજકોટમાં એક લાખથી વધુ દલિતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરશે. તેમણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર માનવાધિકાર ભંગના આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, આરોપીઓ પાસે અકુદરતી કૃત્યો કરાવવામાં આવે છે અને પોલીસ કસ્ટડીમાં આરોપીઓના પગ ભાંગી નાખવામાં આવે છે. મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે કે આ કરતૂત કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. બાળક અને પરિવારની રજૂઆત સાંભળી ન્યાય અપાવવાની ખાતરી આપીલોક દરબારમાં ગીર સોમનાથના એક માસૂમ બાળકનો કિસ્સો પણ સામે આવ્યો હતો, જેનો અકસ્માતમાં પગ કપાઈ ગયો હોવા છતાં 4 મહિનાથી પોલીસે ફરિયાદ નોંધી ન હતી. મેવાણીએ આ બાળક અને તેના પરિવારની રજૂઆત સાંભળી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તેમણે જાહેરાત કરી કે, આગામી સમયમાં એવો કાર્યક્રમ યોજાશે જેમાં તમામ સમાજના લોકો પોતાના પ્રશ્નો લઈને આવી શકશે. જો ભ્રષ્ટાચાર અને અન્યાયની આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં જૂનાગઢની સ્થિતિ અત્યંત કપરી બનશે તેવી ચેતવણી સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
ગયા અઠવાડિયે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાંએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો. તેમણે કહ્યું કે BRICS (બ્રિક્સ) સંગઠને ઈરાન પર થઈ રહેલા હુમલાઓને રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. બ્રિક્સે કોઈ પણ પ્રકારના દબાણ વગર કામ કરવું જોઈએ. ઈરાનને હવે આંતરરાષ્ટ્રીય સંગઠનો પર ભરોસો છે કે યુદ્ધ અટકવું જરૂરી છે અને જો કોઈ યુદ્ધ અટકાવી શકે તો એ બ્રિક્સ જેવા સંગઠનો છે. ભારત આમ તો ઘણા ઈન્ટરનેશનલ સંગઠનોમાં મેમ્બર છે. પણ મહત્વના પાંચ-છ સંગઠનો છે જેમના પર વિશ્વની નીતિની ધરી ટકેલી છે. આજે આપણે આ સંગઠનો, ભારતની વિદેશ નીતિ અને સંગઠનોના ભવિષ્યની વાત કરવાની છે. નમસ્કાર, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વર્ષ 2020માં પોતાની પુસ્તક 'ધ ઇન્ડિયા વે: સ્ટ્રૅટજીઝ ફૉર એન અનસર્ટેન વર્લ્ડ'માં લખ્યું હતું, આ સમય છે જ્યારે આપણે અમેરિકા સાથે જોડાવું છે, ચીનને સંભાળવું છે, યુરોપ સાથે સંબંધો વધારવા છે, રશિયાને આશ્વસ્ત કરવું છે, જાપાનને સાથે લાવવું છે, પાડોશનો વિસ્તાર કરવો છે અને પરંપરાગત સહયોગીઓ સાથે સંબંધોનો વિસ્તાર કરવો છે. બધા દેશો સાથે બેલેન્સ કરીને ચાલવાની ભારતની નીતિના કારણે ભારત 'વિશ્વગુરૂ' તરીકે ઊભરી રહ્યું છે. આ વાત બીજા દેશો પણ સ્વિકારે છે. ભારતે બધેથી સંતુલન કરીને ચાલવાનું છે ભારત માટે પડકાર એ છે કે બહુધ્રુવીય વિશ્વનો વિચાર તૂટી રહ્યો છે. ભારત એક સાથે બે મહત્વના અને મોટા ગ્રુપમાં છે — તે જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે 'ક્વાડ'નો ભાગ છે, જે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. સાથે જ તે ચીન-રશિયાના નેતૃત્વવાળા 'શંઘાઈ સહયોગ સંગઠન' (SCO)નું પણ સભ્ય છે, જે ઘણીવાર અમેરિકાનાં હિતો સામે ટકરાય છે. ભારત રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદે છે અને સાથે જ અમેરિકી રોકાણ અને ટેક્નોલોજીને આકર્ષિત કરે છે. ત્રીજું મોટું સંગઠન બ્રિક્સ તો છે જ. ઓગસ્ટ 2025માં ભારતે ચીનના તિયાનજિનમાં યોજાનાર SCO સમ્મેલનમાં ભાગ લીધો હતો. પીએમ મોદી તેના માટે ચીન પહોંચ્યા હતા. એ વખતે કોઈ માનવા તૈયાર નહોતું કે ભારતના વડાપ્રધાન ચીન જશે. આ ઉપરાંત ભારત I2U2-આઈટુયુટુ (ભારત, ઇઝરાયલ, UAE અને અમેરિકા) સંગઠનમાં પણ છે, જે ટેક્નોલોજી, ફૂડ સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. ફ્રાંસ અને UAE સાથે ભારતની ત્રિકોણીય પહેલ પણ છે. ભારત બધા સાથે સંતુલન કરી શકે છે, તેના મૂળમાં કારણ આ છે… પોર્ટુગલના રાજદૂત રહી ચૂકેલા જીતેન્દ્રનાથ મિશ્રા કહે છે, ભારત કદાચ કોઈ મહાશક્તિ સાથે સંપૂર્ણપણે ઊભા રહેવાનો આત્મવિશ્વાસ નથી રાખતું. એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાને કારણે ઈતિહાસની અન્ય મહાશક્તિઓ જેવો માર્ગ અપનાવવાનું પસંદ કરે છે. એટલે પોતાની શરતો પર શક્તિશાળી બનવું. હમણાં નાગપુરમાં સંઘના વડા મોહન ભાગવતે પણ આ જ વાત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે, આ સનાતન ધર્મને, વિશ્વધર્મને, બંધુભાવને, માનવતાને જેને હિન્દુ ધર્મ પણ કહે છે. આપણા દેશના દરેક પંથ, સંપ્રદાયોએ આ જ વાત કરી છે. ભારતનું પ્રાચીન જ્ઞાન આપણને શીખવે છે કે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એક છે.. ધર્મ ફક્ત શાસ્ત્રો પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પરંતુ લોકોના વ્યવહારમાં પણ દેખાવો જોઈએ.ડગમગી ગયેલી દુનિયાને ફરી ધર્મનો આધાર આપીને તેનું સંતુલન કરવું એ જ આપણું કામ છે. આ બધું દુનિયાના ચિંતકોના ધ્યાનમાં છે. એટલે અત્યારે ચાલી રહેલા યુદ્ધમાં વારંવાર બીજા દેશો કહી રહ્યા છે કે, આ યુદ્ધ તો ભારત જ પૂરું કરાવી શકે તેમ છે. કેમ? કારણ કે ભારતની આ પ્રવૃતિનું જ્ઞાન તેમને છે. આપણા ધર્માચરણ પાછળ શક્તિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત કોની સાથે સંબંધો રાખશે, અમેરિકા સાથે કે ચીન સાથે? અમેરિકા, ચીન, રશિયા આ ત્રણેય દેશ તાકાતવર છે. ભારતે ત્રણેય સાથે સંબંધ રાખવા પડે. અમેરિકાના ખોળામાં બેસે તો રશિયા રૂઠી જાય ને રશિયાને ટેકો આપે તો અમેરિકા સંબંધો કાપી નાખે. ચીન તો પહેલેથી દુશ્મન છે જ. પણ ભારત હવે સમજી ગયું છે કે ચીન સાથે નિકટતા વધારવી જરૂરી છે. કારણ કે અમેરિકા ક્યારેય કોઈનું થયું નથી. મોદી SCO સમિટમાં ગયા પછી ભારત-ચીન વચ્ચે ઉષ્મા દેખાઈ. પોલિટિકલ એક્સપર્ટ હેપીમોન જેકબના મતે, આગામી ઘણા દાયકાઓ સુધી ચીનને સંભાળવું ભારત માટે રણનીતિક પડકાર રહેશે. SCOમાં મોદી ગયા હતા તે અમેરિકી નીતિઓના જવાબમાં નવા ગઠબંધનો સંકેત આપે છે. સાથે એક વાત એ પણ છે કે, જો ભારત-ચીન સંબંધો સારા નહીં થાય તો ચીન ટ્રમ્પ સાથે ભારતની નારાજગીનો જિયોપોલિટિકલ લાભ નહીં લઈ શકે. ભારતની હાલની વ્યૂહરચના એ છે કે ચીન સાથે કામચલાઉ સંબંધો જાળવી રાખે, છતાં અમેરિકાની નારાજગી ન વહોરે. અમેરિકાના દબાણ સામે ભારતે રશિયા સાથે બાંધછોડ કેમ કરી? મોદી અને પુતિન બહુ સારા મિત્રો છે. ભારત-રશિયાના સંબંધો આજકાલના નહિ, વર્ષોથી મજબૂત છે. પણ ટ્રમ્પે ભારતનું નાક દબાવ્યું કે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરો નહીંતર ટેરિફ વધારીશું. ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઓછી કરી. એ પછી વિદેશમંત્રી જયશંકરની રશિયા જઈ આવ્યા. તેમની યાત્રાએ સ્પષ્ટ કર્યું કે ભારત આ સંબંધો મજબૂત રાખવા ઇચ્છે છે. રશિયા ભારત માટે એનર્જીની લાઇફલાઇન છે અને વિદેશ નીતિની સ્વાયત્તતાનો સંકેત પણ. ભારત રશિયા સાથે સંબંધો મજબૂત રાખે છે કારણ કે તેને ડર છે કે રશિયા ચીન તરફ વધુ ન ખસી જાય. ભારત માટે હરિફાઈ ચાલુ જ રહેવાની છે ચીન અને અમેરિકા માટે ભારતનાં પૂર્વ રાજદૂત રહી ચૂકેલાં નિરુપમા રાવ કહે છે, ભારત એટલું મોટું અને મહત્ત્વાકાંક્ષી છે કે તે કોઈ એક મહાશક્તિ સાથે બંધાઈ શકતું નથી. તેની પરંપરા અને હિતો લચીલાપણું માંગે છે. દુનિયા હવે બે જૂથમાં નથી વહેંચાઈ રહી, પણ વધુ જટિલ રીતે વહેંચાઈ રહી છે. આવા સમયમાં વ્યૂહાત્મક અસ્પષ્ટતા નબળાઈ નથી પણ સ્વાયત્તતા છે. સાચી વાત એ છે કે ભારત પાસે મર્યાદિત વિકલ્પો છે. ચીન સાથે સમાધાનની કોઈ શક્યતા નથી, સ્પર્ધા ચાલુ રહેશે. રશિયા પર 'થોડી હદ સુધી' ભરોસો રાખી શકાય છે. ભલે ટ્રમ્પ હજુ ત્રણ વર્ષ સત્તામાં રહે, પરંતુ અમેરિકા અને ભારતનો સંબંધ ટકી રહેશે એ પણ નક્કી છે. ફ્રાન્સમાં ભારતના રાજદૂત રહેલા જાવેદ અશરફને મીડિયાએ સવાલ પૂછ્યો કે શું ખરેખર મોદી સરકારની મલ્ટિ-એલાઇનમેન્ટની નીતિ નિષ્ફળ થઈ રહી છે? ત્યારે તેમણે કહ્યું કે, હું એવું નથી માનતો. નરેન્દ્ર મોદી SCO સમિટમાં જાય તો તેનો અર્થ એવો નથી કે તેમનો આ પ્રવાસ અમેરિકાની વિરુદ્ધ છે. ટ્રમ્પ આવ્યા એ પહેલાંથી જ ચીન સાથેના સંબંધોમાં સુધારાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. અમેરિકા સાથે પણ વેપારના સ્તરે સંબંધો ખરાબ છે, અન્ય સંબંધો તો જેમના તેમ જ છે. ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સમાધાન ન થવાનું કારણ એ પણ છે કે ભારતે પોતાનાં હિતો સાથે સમાધાન નથી કર્યું. એટલે કે ભારત અમેરિકા સાથે વ્યૂહરચનાત્મક સ્વાયત્તતા સાથે જ વાત કરી રહ્યું છે. ચીન અને રશિયા વધુ શક્તિશાળી છે, તેથી તેઓ અમેરિકાને એની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. જો આપણી પાસે પણ એવી તાકત હોત તો આપણે પણ જવાબ આપ્યો હોત. ફરક માત્ર આટલો જ છે. 2026માં ભારત બ્રિક્સ અને ક્વાડનું યજમાન, હવે શું થશે? 2026માં ભારતના આંગણે બે મોટી ઈવેન્ટ થવાની છે. એક, બ્રિક્સ સમિટ અને બીજી ક્વાડ દેશોની મિટિંગ. બ્રિક્સ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થઈ શકે. ક્વાડ સમિટ આમ તો નજીકમાં થવાની હતી પણ યુદ્ધની સ્થિતિના કારણે ક્યારે, ક્યાં થશે તે નક્કી નથી. ક્વાડ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે. જોકે ન્યૂયોર્ક ટાઈમ્સે એવો રિપોર્ટ છાપી દીધો કે ભારતમાં ક્વાડ દેશોની મિટિંગ થશે પણ તેમાં ટ્રમ્પ હાજર નહિ રહે. અલબત્ત, ટ્રમ્પ ભારત આવશે કે કેમ, તેની સ્પષ્તા ભારત સરકારે કે વ્હાઈટ હાઉસે નથી કરી. હવે જાણો ક્વાડ દેશો વિશે… ભારત દરેક સંગઠનોમાં મજબૂત છે મોદીની વિદેશ નીતિ બીજા લિડર્સથી અલગ કેમ છે? મોદીની વિદેશ નીતિ બીજાથી અલગ છે. આ નીતિને 'મોદી ડોક્ટ્રીન' કહે છે. ડોક્ટ્રીન એટલે સિદ્ધાંત. મોદીનો સિદ્ધાંત એવો છે કે બે દેશ દુશ્મન હોય તો પણ બંને સાથે સારા સંબંધો રાખવાના. જેમ કે ઈરાન અને ઈઝરાયલ. ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે અને રશિયાના કટ્ટર દુશ્મન યુક્રેનને ડીઝલ વેચે પણ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મોદી સાથે કારમાં 45 મિનિટ બેસીને વાતચીત કરે છે. મોદી ચીન ગયા તે પહેલાં ઝેલેન્સકીએ મોદીને ફોન કરીને કહ્યુ કે, અમારું ધ્યાન રાખજો. શાંતિ થાય તેવું કરજો. બે દુશ્મન દેશ સાથે મોદીને સારા સંબંધો, જુઓ બે તસવીર… ચીન અને જાપાન વચ્ચે દુશ્મનવાટ છે. તે જાપાન જઈને મોદી ઈન્વેસ્ટમેન્ટ લઈને આવે છે. ચીન જતાં પહેલાં જાપાન જાચ છે, આ બંને દેશો કટ્ટર દુશ્મન છે. મોદીની આ નીતિના કારણે ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે. 2014-15માં ભારતમાં વિદેશી રોકાણ 3 લાખ કરોડ હતું. તે 2024-25માં વધીને 7 લાખ કરોડ થયું છે. મોદી ડોક્ટ્રીન એ છે કે દરેક સાથે સંબંધો રાખો પણ દબાણમાં નહિ આવવાનું. એક સમય એવો હતો કે દુનિયામાં અમેરિકા, ચીન અને રશિયાનો જ દબદબો હતો. પણ વડાપ્રધાન મોદીએ ધીમે ધીમે ગ્લોબલ સાઉથને પાવરફૂલ બનાવ્યું. ભારત હવે ગ્લોબલ સાઉથનો અવાજ બની ગયો છે. વડાપ્રધાન મોદીની લીડરશિપમાં દુનિયાના વિકાસશીલ દેશ એક મંચ આવી રહ્યા છે અને ભારત બ્રિક્સ મારફત નવો વર્લ્ડ ઓર્ડર બનાવે છે. ભારત, રશિયા અને ચીન એક થઈ રહ્યા છે. બ્રિક્સના દેશો એકજૂટ થઈ રહ્યા છે જેથી તે અમેરિકા અને યુરોપના દેશોને ટક્કર આપી શકે. સિવિલાઈઝેશન ડિપ્લોમસી એટલે વિદેશ નીતિમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો ઉપયોગ કરવો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ. ગલ્ફ દેશોમાં મંદિરોનું નિર્માણ થયું. દુનિયાભરમાં 'વિશ્વગુરૂ'વાળી ઈમેજનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. કોરોના વખતે દુનિયાભરના દેશોમાં વેક્સિન પહોંચાડનારો દેશ ભારત જ હતો. ભારત-ઈઝરાયલના સંબંધો ભાજપ સરકારમાં મજબૂત બન્યા ભારત અને ઈઝરાયલના રાજદ્વારી સંબંધનો ઈતિહાસ બહુ લાંબો નથી. ઈઝરાયલની રચના બાદ ભારતે તેને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકૃતિ આપી નહોતી. ભારત ઈઝરાયલની રચનાની વિરુદ્ધમાં હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારતના સમર્થન માટે વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈને જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો હતો, પરંતુ નહેરુએ આઇન્સ્ટાઇનના પત્રને પણ નકાર્યો હતો. આખરે 1950ની 17 નવેમ્બરે નહેરુએ ઇઝરાયલને સ્વીકૃતિ આપી હતી. ભારતે આંતરિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ઇઝરાયલ સાથે અંતર જાળવી રાખ્યું હતું. ભારતે ઈઝરાયલ સાથે અંતર રાખ્યું, તેનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં મુસ્લિમોની વસ્તી વધારે છે. 1991માં અખાતી યુદ્ધ પછી પરિસ્થિતિ બદલાઈ અને ઇઝરાયલ મિડલ ઈસ્ટમાં શક્તિશાળી દેશ તરીકે ઉભર્યું. ભારતના ઈઝરાયલ સાથે સંબંધો વાજપેયીની ભાજપ સરકાર પહેલીવાર સત્તામાં આવી, ત્યારથી મજબૂત બન્યા. આજની તારીખે રશિયા પછી ઇઝરાયલ ભારત માટે સૌથી વધુ શસ્ત્રો પૂરાં પાડતો દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ-2017માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા અને તે કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી ઇઝરાયલ મુલાકાત હતી. તે પહેલાં સુધી ભારતનો કોઈ ટોપ લીડર ઇઝરાયલ જાય તો પેલેસ્ટાઈન જરૂર જતો હતો, પરંતુ નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન ગયા નહોતા અને મુલાકાત દરમિયાન પેલેસ્ટાઇનનું નામ સુદ્ધાં લીધું નહોતું. હમાસે 2023માં ઇઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો ત્યારે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે કહ્યુ હતું કે ભારત આ આતંકવાદી હુમલા વિરુદ્ધ ઇઝરાયલની પડખે છે. મોદી પર ઈઝરાયલ યાત્રાનું કલંક, છતાં ઈરાનને મોદી પર ભરોસો જ્યારે મોદી 25-26 ફેબ્રુઆરીએ ઈઝરાયલ ગયા હતા ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે તેઓ ઈઝરાયલ યાત્રા દરમિયાન પેલેસ્ટાઇનના અધિકારોનો મુદ્દો ઉઠાવે. જોકે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો નહોતો. અરાઘચીએ ત્યારે પણ ભારતને પોતાનું મિત્ર પણ ગણાવ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન મોદીની ઇઝરાયલ યાત્રા પછી તરત ઈરાન પર હુમલા થયા તેનાથી ભારત માટે મુશ્કેલી વધી ગઈ છે. દુનિયામાં આ જ ચર્ચા થઈ રહી છે કે મોદી ઈઝરાયલ ગયા ને તરત હુમલા થયા. પણ ઈરાન આ વાત માનવા તૈયાર નથી. ઈરાનને આજેપણ મોદી પર ભરોસો છે. આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઈરાન પણ 2024માં આ સંગઠનમાં સામેલ થયું હતું. ગયા વર્ષે બ્રિક્સે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાની ટીકા કરી હતી. ઈરાન પર થયેલા હુમલાએ બ્રિક્સના ભવિષ્ય સામે પણ સવાલ પેદા કર્યા છે. ભારતની સ્થિતિ ઘણા અંશે ખતરામાં છે. ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરે છે. ઈરાન અને રશિયા પણ બ્રિક્સમાં સામેલ છે. આમ તો આ એક યુદ્ધ છે, વાસ્તવમાં આ સત્તા પરિવર્તનનું એક અભિયાન છે. 'મોદી ડોક્ટ્રીન' અગ્નિ પરીક્ષા, ભારત હવે શું કરશે? ઈરાને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ કરી દીધો એટલે ભારતમાં ગેસ અને ઓઈલની કટોકટી સર્જાવાની ભીતિ છે. અલબત્ત, મોદીએ બે વખત ઈરાનના રાષ્ટ્રપતિ પઝશકિયાં સાથે વાત કરી છે અને ઈરાનની નેવીએ પાંચ ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો પાર કરાવી દીધો છે. હજી પણ 20 જેટલા જહાજ ફસાયેલા છે. ભારતના નિકાસકારોનો માલ અટવાઈ પડ્યો છે. મોદીએ આગ્રહ કર્યો કે, હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દેવામાં આવે તો ઈરાને પણ મોદી પાસેથી અપેક્ષા રાખી કે તમે બ્રિક્સ દેશો સાથે વાત કરીને યુદ્ધ ખતમ કરાવો. મોદી માટે મુશ્કેલી એ છે કે જો તે ઈરાનનો સાથ લઈને તરફેણ કરે તો ઈઝરાયલ અને અમેરિકા સાથે સંબંધો બગડે. ઈરાનની મદદ ન કરે તો ભારતમાં ઓઈલ અને ગેસ અટકી પડે. અત્યારે 'મોદી ડોક્ટ્રીન'ની અગ્નિ પરીક્ષા છે. સવાલ એ છે કે ભારત અત્યારે કોનો પક્ષ લેશે?તો જવાબ એ છે કે ભારત અત્યારે યુદ્ધમાં મધ્યસ્થી નહીં કરી શકે. ભારત હાલમાં એવી સ્થિતિમાં નથી. ભારત અત્યારે પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપે તે વધુ મહત્ત્વનું છે.આ ઉથલપાથલનો સમય છે. સમય વીતવાની સાથે સ્પષ્ટ થશે કે આ સંઘર્ષ કેટલો લાંબો ચાલે છે. જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત પર આર્થિક અને રાજકીય અસર ચોક્કસ પડશે. પરંતુ ભારતની પ્રતિક્રિયા અનિશ્ચિત છે. ભારત આ હુમલાની ટીકા નહીં કરે તો બ્રિક્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. છેલ્લે, 1970ના દાયકામાં જ્યારે દુનિયાભરમાં ઓઈલ સંકટ આવ્યું હતું ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને સ્થિર કરવા માટે શક્તિશાળી દેશોએ એકજૂટ થવાનો નિર્ણય કર્યો. આમ બન્યું G-7 ગ્રુપ. આ ગ્રુપમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, યુકે અને અમેરિકા મેમ્બર દેશો છે. ભારત નથી. પણ છેલ્લા સાત વર્ષથી G-7 સમિટમાં ભારતને આમંત્રણ મળે છે. તેનો મતલબ એ છે કે વૈશ્વિક વાતચીત ભારત વગર અધૂરી માનવામાં આવે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
પાટનગર ગાંધીનગરમાં ધર્મ છુપાવી હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના વધતા કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-26માં રહેતા અલ્તાફ લુહાર નામના યુવકે પોતાનું સાચુ નામ અને ધર્મ છુપાવી સાહિલ દેસાઈ બની સેક્ટર-24ની સગીરાનું શારીરિક શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ યુવકને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે સેકટર-21 પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી યુવકની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. સગીરાને વિશ્વાસમાં લઈ પ્રેમની માયાજાળમાં ફસાવી હતીહિન્દુ સંગઠનના કહેવા મુજબ ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાનો સંપર્ક અલ્તાફ વલીભાઈ ખાન લુહારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા કર્યો હતો. અલ્તાફે પોતાની ઓળખ સાહિલ દેસાઈ તરીકે આપી હતી અને સગીરાને વિશ્વાસમાં લઈ પ્રેમની માયાજાળમાં ફસાવી હતી. આ યુવકે સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવી સતત તેનું શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિવારે યુવકને બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતોઆશરે છ મહિના અગાઉ સગીરાના પરિવારને આ બાબતની જાણ થઈ હતી. તે સમયે પરિવારે યુવકને બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો અને સગીરાથી દૂર રહેવા ચેતવણી પણ આપી હતી. જોકે, અલ્તાફ પોતાની હરકતોથી બાજ આવ્યો નહોતો. આજે જ્યારે સગીરા ઘરે એકલી હોવાની માહિતી મળી ત્યારે અલ્તાફ ઉર્ફે સાહિલ તેના ઘરે પહોંચી ગયો હતો. સગીરા સાથેના વાંધાજનક ફોટા-વીડિયો પણ મળી આવ્યા હતાઆ અંગેની જાણ પાડોશીઓને થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને જાણ કરી હતી. જેના પગલે સંગઠનના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મકાનના ત્રીજા માળે આવેલા ધાબાના રૂમનો દરવાજો ખોલાવતા અલ્તાફ અને સગીરા સાથે મળી આવ્યા હતા. કાર્યકરોએ જ્યારે યુવકનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેમાંથી સગીરા સાથેના વાંધાજનક ફોટા અને વીડિયો પણ મળી આવ્યા હતા. જેનાથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. આ બનાવની ગંભીરતા જોતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો સેક્ટર-21 પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, અલ્તાફ સિવિલ કેમ્પસમાં આવેલી એક એસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ સુનિલ ત્રિવેદી અને બજરંગ દળના શક્તિસિંહ સહિતના આગેવાનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે પોક્સો એક્ટની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરીઆ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ગણપતસિંહે કહ્યું કે, અન્ય ધર્મના યુવક સગીર દીકરીને હેરાન કરતો હતો.એના મોબાઈલમાં વીડિયો પણ લીધા હતા.અગાઉ પણ આ યુવકને સમજાવ્યો હતો. આજે અમે સેક્ટર-21 પોલીસને હવાલે કર્યો છે. નાયબ મુખ્યમંત્રીને વિનંતી કે, આ મામલે કડક કાર્યવાહી કરે અને આવા તત્વોની પાછળ કોણ છે એ તપાસ કરે. જ્યારે સેક્ટર-21 પોલીસે આ મામલે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રભાસ પાટણ નજીક સોમનાથ બાયપાસ માર્ગ પર આવેલી પુષ્પ હોટેલના જનરેટર સેટમાં આજે બપોરે આગ લાગી હતી. આ ઘટના હોટેલ લોર્ડ્સ સામે બની હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરમેન હરપાલ ખેર અને સુનિલ ચુડાસમા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ જનરેટર સેટમાં કોઈ તકનીકી ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. ફાયર બ્રિગેડની સમયસર અને સક્રિય કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. મોટી દુર્ઘટના ટળી હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી 29 માર્ચના રોજ યોજાનારા 10મા પદવીદાન સમારોહ માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, તે દરમ્યાન vc આવતા જ abvp કાર્યકરો ઘસી આવી હોબાળો મચાવ્યો હતો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થીઓના સ્વભંડોળના નાણાંનો વૈભવી અને બિનજરૂરી વસ્તુઓ પાછળ દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ABVP એ યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને નાણાકીય પારદર્શિતા પર સવાલ ઉઠાવતા નીચે મુજબના મુદ્દાઓ રજૂ કર્યા છે જેમાં સમારોહમાં મહેમાનો માટે માત્ર કોટીની ખરીદી પાછળ જ અંદાજે રૂ.1.5 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, સરકારી નિયમ મુજબ કોઈપણ ખરીદી માટે GeM પોર્ટલનો ઉપયોગ કરવો ફરજિયાત છે, ABVP એ પ્રશ્ન કર્યો છે કે શું આ ખરીદીમાં નિયમોનું પાલન થયું છે કે કેમ? યુનિવર્સિટી પાસે પોતાની સુસજ્જ ટીચર્સ હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, મહેમાનોને મોંઘી હોટલોમાં ઉતારો આપવાના નિર્ણય સામે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જાહેર નાણાં અને વિદ્યાર્થીઓના ભંડોળનો ઉપયોગ માત્ર વિદ્યાર્થી હિત અને શૈક્ષણિક હેતુઓ માટે જ થવો જોઈએ. પદવીદાન સમારોહના નામે થતું બિનજરૂરી ઉડાઉપણું સાંખી લેવામાં આવશે નહીં. ABVP દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે,પદવીદાન સમારોહના સમગ્ર ખર્ચની વિગતો જાહેર કરવામાં આવે, તમામ ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે, સરકારી પ્રોટોકોલ અને GeM પોર્ટલના નિયમોના પાલનની સ્પષ્ટતા કરવામાં આવે, વિદ્યાર્થી સંગઠને અંતમાં ચેતવણી આપી છે કે, જો યુનિવર્સિટી તંત્ર દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે અથવા વિદ્યાર્થી હિતને પ્રાથમિકતા આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતની રક્ષા માટે ABVP દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ વહીવટી તંત્રની ઢીલી કામગીરી અને પ્રજાકીય પ્રશ્નોના ઉકેલમાં થતા વિલંબ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તંત્રને 'નિંભર' ગણાવી પ્રહાર કર્યો હતો કે, ધારાસભ્યો દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તંત્ર માત્ર 'કાગળ-કાગળ' રમી રહ્યું છે. ગ્રાન્ટ ફાળવી પણ કામ શરૂ ન થયા: ગોપાલ ઇટાલિયા બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, મેં મારા ધારાસભ્ય ફંડમાંથી અંદાજે 2.45 કરોડથી વધુની રકમ વિવિધ વિકાસકામો માટે ફાળવી છે. મારી સહીથી ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ હજુ સુધી અનેક કામો ચાલુ કરવામાં આવ્યા નથી. કારણ કે ફાઈલો અને કાગળોની પ્રોસેસ તંત્ર દ્વારા પૂરી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા છે અને મેં એ રકમ ફાળવી પણ દીધી છે, છતાં જમીન પર કામ દેખાતું નથી. આ ફરિયાદ માત્ર મારી એકની જ નથી, પરંતુ બેઠકમાં ઉપસ્થિત ભાજપના ધારાસભ્યોએ પણ આ જ રાગ આલાપ્યો હતો કે ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ કામો કેમ થતા નથી?. ભેસાણ સહકારી મંડળી કૌભાંડ અને ખેડૂતોના પ્રશ્નો ગોપાલ ઇટાલિયાએ ભેસાણ તાલુકાની વિવિધ સહકારી મંડળીઓમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લેવાના કૌભાંડની તપાસ ક્યાં પહોંચી? અગાઉ નોંધાયેલી ફરિયાદોના કોર્ટ કેસની સ્થિતિ શું છે? ખેડૂતોએ જમા કરાવેલી ડિપોઝિટ તેમને ક્યારે પરત મળશે? અને જે ખેડૂતોના એકાઉન્ટમાં ખોટા બોજા પડ્યા છે, તે ક્યારે દૂર થશે? આ તમામ મુદ્દે તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યા છે. વધુમાં, ખેડૂતોએ ટેકાના ભાવે વેચેલી મગફળીનું ચુકવણું પણ બાકી હોવાથી તે સત્વરે ચૂકવવા માંગ કરી છે. રત્નકલાકારોની ‘રત્નદીપ યોજના’માં મોટો અન્યાય હીરા ઉદ્યોગમાં મંદીને પગલે સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોની ફી માટે 'રત્નદીપ યોજના' જાહેર કરાઈ હતી. આ મુદ્દે ચોંકાવનારો ખુલાસો કરતા ઇટાલિયાએ કહ્યું કે, જૂનાગઢ જિલ્લામાં 2,982 રત્નકલાકારોએ સહાય માટે ફોર્મ ભર્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી હું આનો જવાબ માંગી રહ્યો હતો અને આજે ખબર પડી કે 2,982 ફોર્મમાંથી માત્ર 266 અરજીઓ જ મંજૂર થઈ છે, જ્યારે બાકીની તમામ અરજીઓ ના-મંજૂર કરી દેવાઈ છે. આટલી મોટી સંખ્યામાં ફોર્મ કેમ રિજેક્ટ થયા તેનો તંત્ર પાસે કોઈ સંતોષકારક જવાબ નથી. તંત્રની ‘કાચબા ગતિ’ અને માળખાકીય સુવિધાઓ બેઠકમાં અન્ય ભૌતિક સુવિધાઓ અંગે પણ ચર્ચા થઈ હતી જેમાં જૂનાગઢથી ભેસાણ જતો રોડ કાચબા ગતિએ બની રહ્યો છે તે બાબતે માર્ગ-મકાન વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો. વિસાવદર-ભેસાણ મત વિસ્તારના શોભાવડલા અને બરડીયાના રસ્તાના કામો પણ પેન્ડિંગ છે.વિસાવદરના મોટીમોણપરી, છેલણકા, જામકા અને કર્યા ગામમાં જૂની પાણીની ટાંકી તોડવાનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ છે. લીમધરા, કાલાવડ અને મૂળિયા ગામમાં ગ્રામ પંચાયતના ભવન નથી. કાલાવડમાં પંચાયત ભવનનું કામ 4 વર્ષથી ચાલી રહ્યું છે. ઇટાલિયાએ કલેક્ટરને ટાંકતા કહ્યું કે, પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં પણ ગ્રામ પંચાયત નથી બનતી, તો સામાન્ય પ્રજાનું શું ?. ભેસાણના હીરાના કારખાનેદારોને પડતા વીજકાપ અને GEB ના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. ઉનાળામાં તળાવો ઊંડા ઉતારવા અને તેમાંથી નીકળતી માટી ખેડૂતોને આપવા બાબતે પણ પરામર્શ થયો હતો. ધારાસભ્ય અરવિંદ લાડાણીની રજૂઆત અને ડોક્ટર સામે ફરિયાદ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના વિસ્તારના તૂટી ગયેલા રસ્તાઓ પર ડામર પેચ કે પટ્ટા લગાવવા રજૂઆત કરી હતી. તંત્રએ આ કામો મંજૂરીની પ્રક્રિયામાં હોવાનું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત, લાડાણીએ વંથલીના ડોક્ટર સિકંદર પરમાર સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ ડોક્ટરની કામગીરીથી લોકો ત્રાસી ગયા છે અને અનેક દર્દીઓએ ફરિયાદ કરી છે, જે બાબતે પણ સંકલન સમિતિમાં કડક રજૂઆત કરાઈ છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો - દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયાના પ્રશ્નો સાંભળ્યા હતા. કલેક્ટરે દર વખતની જેમ પ્રજાકીય પ્રશ્નોના 'ઝડપી અને સકારાત્મક' ઉકેલ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બેઠકમાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર યોજના, નેશનલ હાઈવે પર પાણીના નિકાલ અને વન વિભાગમાં ચેકડેમના ડીસલ્ટિંગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 13 વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી આપનારને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. આઈ.જી. રાયે ચાર્જ સંભાળ્યા બાદ કુલ 29 વોન્ટેડ આરોપીઓ માટે ઇનામ જાહેર કર્યા છે. જામનગર શહેર અને જિલ્લાના નવ વોન્ટેડ આરોપીઓનો આ યાદીમાં સમાવેશ થાય છે. જેમાં 2024માં રાજપાર્ક વિસ્તારમાં બાળકીની હત્યાના આરોપી લાલજી કૈલાસ પંડ્યા (રૂ. 10,000 ઇનામ), હત્યાના અન્ય આરોપીઓ આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી (રૂ. 5,000), આસુતોષ શિવધરન ત્રિપાઠી (રૂ. 5,000), મહેન્દ્ર કૃષ્ણબલદેવ તિવારી (રૂ. 5,000) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા કૈલાસ રામસિંગ અજનાર (રૂ. 5,000) અને લૂંટના ગુનામાં વોન્ટેડ વસના ભૂરા સરૂપા તથા બાલુ માનસિંગ બિલવાવ (બંને માટે રૂ. 5,000) પણ યાદીમાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર વોન્ટેડ આરોપીઓ પર પણ ઇનામ જાહેર કરાયા છે. જેમાં ભાણવડ વિસ્તારના ગુનાના આરોપી અર્જુનસિંગ મોહંતી પંડિત (રૂ. 10,000), કમલેશ નીનાવા (રૂ. 5,000), મીઠાપુરના NDPS (નશીલા પદાર્થ) કેસના આરોપી ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (રૂ. 15,000) અને ખંભાળિયા વિસ્તારના ગુનાના આરોપી લખવીન્દરસિંહ સ્વરૂપસિંગ જાટ (રૂ. 10,000) નો સમાવેશ થાય છે. આ આરોપીઓ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, હથિયારધારા ભંગ, દુષ્કર્મ અને નશીલા પદાર્થોના ગુનાઓમાં સંડોવાયેલા છે અને લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યા છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નિરીક્ષકોની નિમણૂક માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી કામગીરી, ઉમેદવારોની પસંદગી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ‘નો રીપીટ થિયરી’ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતીબેઠકમાં પ્રદેશ મોવડી મંડળ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, ઉમેદવારી માટે સાંસદ (MP) અને ધારાસભ્ય (MLA)ની ભલામણ માન્ય ગણાશે નહીં. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દબાણ કે ભલામણ વગર માત્ર જીતે તેવા, લોકપ્રિય અને કાર્યકર આધાર ધરાવતા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે. ટિકિટ ઇચ્છુકોને પણ શિસ્તબદ્ધ રીતે પોતાની રજૂઆત કરવા સલાહ આપવામાં આવી હતી. ખાસ નોંધનીય બાબત એ રહી કે બેઠક દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવા મુદ્દે અથવા ‘નો રીપીટ થિયરી’ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી, જેના કારણે આ મુદ્દે પાર્ટીમાં હજુ સ્પષ્ટતા નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે. નિરીક્ષકોને તેમની નિમણૂક અંગેની સત્તાવાર જાણ ઇમેલ મારફતે કરાશેચૂંટણી નિરીક્ષકોની નિમણૂક અંગે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓ અને વિસ્તારો માટે નિરીક્ષકો નક્કી કરવામાં આવ્યા છે, જેમને પોતાના વિસ્તારમાં જઈને સ્થાનિક પરિસ્થિતિ, સંગઠન અને સંભવિત ઉમેદવારો અંગે માહિતી એકત્રિત કરીને રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે. આ નિરીક્ષકોને તેમની નિમણૂક અંગેની સત્તાવાર જાણ ઇમેલ મારફતે કરવામાં આવશે. કોબા સ્થિત ‘શ્રી કમલમ’ કાર્યાલય ખાતે ‘મીડિયા કાર્યશાળા’ યોજાઈઆ સાથે ભાજપ દ્વારા મીડિયા મોરચે પણ સક્રિયતા વધારવામાં આવી છે. ગાંધીનગરના કોબા સ્થિત ‘શ્રી કમલમ’ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા તથા મહાનગરના મીડિયા ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ માટે ‘મીડિયા કાર્યશાળા’ યોજાઈ હતી. આ કાર્યશાળામાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા મારફતે સંગઠનાત્મક તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વસનીય માહિતી જન જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આહ્વાનપ્રદેશ અધ્યક્ષ દ્વારા ખાસ કરીને વિપક્ષના ભ્રામક અપપ્રચાર સામે સંપર્ક, સંવાદ અને સંકલન દ્વારા મીડિયા મારફતે સાચી માહિતી જમીન સ્તર સુધી પહોંચાડવા હાકલ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે મીડિયા વિભાગની દૈનિક કામગીરી અને કાર્યપદ્ધતિ અંગે વિગતવાર સમજ આપી, તેમજ સચોટ અને વિશ્વસનીય માહિતી જન જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું હતું. આ બંને બેઠક અને કાર્યશાળાથી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારી ચૂંટણી માટે પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને દરેક સ્તરે વ્યૂહરચના મજબૂત કરવામાં આવી રહી છે.
રાણકી વાવમાં 18 કરોડનો 3D લેઝર શો તૈયાર:વડાપ્રધાન 31 માર્ચે ઓનલાઈન ઉદ્ઘાટન કરશે, ઇતિહાસ દર્શાવાશે
પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. આશરે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 3D લેઝર શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ ઓનલાઈન કરશે. આ શો રાણકી વાવના સમૃદ્ધ ઇતિહાસને ઉજાગર કરશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ એકાદ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં રંગબેરંગી લેઝર લાઇટિંગ, મોન્યુમેન્ટ લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે. રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કોઈ પણ તોડફોડ વગર 10 લેઝર પ્રોજેક્ટર ફીટ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓના પ્રવેશ માટેના પાથ-વે પર બંને બાજુ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ લાઇટિંગ શોને ઓપરેટ કરવા માટે પરિસરમાં એક અલાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. આ 3D લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલી વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે વાવના ઇતિહાસની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે. રાણકી વાવના ઇતિહાસમાંથી તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટ પર આધારિત આશરે 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ શો દરમિયાન 250 જેટલા પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. રાણકી વાવના અધિકારી અમિત યાદવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચે આ 3D લેઝર શો પ્રોજેક્ટનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવશે, જે રાણકી વાવના ઇતિહાસને પ્રવાસીઓ સમક્ષ રજૂ કરશે.
રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકો, મહેસુલ વિભાગમાં બદલી-બઢતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટ્રાન્સફર તેમજ મામલતદાર કક્ષાએ પ્રમોશન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ફેરફારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વહીવટને વધુ અસરકારક બનાવશે. 21 IAS અધિકારીઓને પ્રભારી સચિવ તરીકે નવી જવાબદારીરાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટ વધુ મજબૂત બને. મહેસુલ વિભાગમાં 31 ગેસ કેડરના અધિકારીઓની બદલીમહેસુલ વિભાગ હેઠળ ગેસ કેડરના 31 વર્ગ-1 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક ફરજ સંભાળવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT અધિકારીઓની બદલી-બઢતીસાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT ક્ષેત્રના અધિકારીઓ માટે મોટા પાયે ફેરફારો થયા છે. કુલ 41 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે નાયબ નિયામક કક્ષાના 5 અધિકારીઓને બઢતી સાથે બદલી આપવામાં આવી છે. ઉપરાંત 34 IT અધિકારીઓને પણ બઢતી સાથે નવી નિમણૂકો આપવામાં આવી છે. આ ફેરફારો ટેક્નોલોજી આધારિત કામગીરીને વધુ ગતિ આપવા માટે કરવામાં આવ્યા છે. મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાએ પ્રમોશન-બદલીનો આદેશમહેસુલ વિભાગ હેઠળ 12 મામલતદારોની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. સાથે જ 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેવામાં આવેલા આ નિર્ણયથી તંત્રને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા છે. બી.પી. ચોવટિયા અને સંજયકુમાર રાવ સચિવ બન્યાગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ બે વરિષ્ઠ ઇજનેરોને સચિવ કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે. બી.પી. ચોવટિયાને વિજિલન્સ કમિશનમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સંજયકુમાર રાવને નર્મદા વિભાગ સાથે જોડીને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ડિરેક્ટર (સિવિલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને નિમણૂકો રાજ્યપાલના આદેશથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે અને પ્રશાસનિક દૃષ્ટિએ તેને મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. કુલ મળીને રાજ્યમાં થયેલા આ વ્યાપક ફેરફારો આગામી સમયમાં વહીવટી ગતિ વધારશે અને ખાસ કરીને ચૂંટણી પૂર્વે તંત્રને વધુ સક્રિય બનાવશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે આજે નવો વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ આજે સોશિયલ મીડિયા પર 16 મિનિટનો વીડિયો વાઇરલ કરી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં યુવકે ગંભીર આક્ષેપો કર્યા છે કે, ડિવોર્સી શિક્ષિકાએ તેને 'હિડન બોયફ્રેન્ડ' બનાવી રાખ્યો હતો અને હવે વિદેશ સેટ થવા માટે રૂપિયા પડાવવા ખોટી ફરિયાદ કરી બદનામ કર્યો છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ મામલે રાજકોટમાં ભારે ચકચાર મચી ગઈ છે. હિડન બોયફ્રેન્ડ તરીકે રહેવા કહી ઘરે કોઈ ન હોય ત્યારે બોલાવતીરાજકોટની શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં શિક્ષિકાએ જેમના પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે તે વિદ્યાર્થીએ આજે (27 માર્ચ, 2026)એ 16 મિનિટનો વીડિયો બનાવી બાદમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો વાઇરલ કરતા તેણે જણાવ્યું હતું કે, તેના લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને શિક્ષિકા ડિવોર્સી છે અને લિવઇનમાં બીજા સાથે રહેતી હતી. સાથે મને હિડન બોયફ્રેન્ડ તરીકે રહેવા કહી ઘરે કોઈ ન હોય ત્યારે બોલાવતી હતી. આ પણ વાંચો: હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો વીડિયોમાં વિદ્યાર્થી શિક્ષિકા પર શું આક્ષેપ લગાવી રહ્યો છે?શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશોહું ઉંમરમાં 10 વર્ષ નાનો છું તેની તેને સમજણ ન હતી, પરંતુ સમાજમાં તેની બદનામી થવા લાગતા પોતાને વિદેશ સેટ થવા રૂપિયાની જરૂર હતી માટે મારી પાસે રૂપિયાની માંગણી કરી મને દુષ્કર્મના કેસમાં ફસાવવા ધમકી આપતી હતી. મને બદનામ કરી મારા ફોટા વાઇરલ કર્યા માટે હું દવા પી જાવ છું. અપેક્ષા કરીશ કે તમે મને અને મારા પરિવારને ન્યાય અપાવશો અને આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો. '50 જગ્યાએ સબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે વિદ્યાર્થીને ફસાવ્યો'આજે હું આ વીડિયોના માધ્યમથી તમને જણાવવા માગુ છું કે, તારીખ 23 માર્ચ, 2026ના રોજ મારા ઉપર ફરિયાદ થયેલી છે. જેમાં શિક્ષિકાએ મારી ઉપર આરોપ લગાવ્યો છે કે, મેં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. પણ હજુ હું કોર્ટ તેમજ કાનૂનમાં મારા આધાર પુરાવા રજૂ કરી દોષિત કે નિર્દોષ સાબિત થાવ એ પહેલા જ મીડિયામાં મારા ફોટા વાઇરલ કરી મને સમાજમાં દોષિત ઠેરવ્યો છે. હું જણાવવા માગુ છું કે, આ સમાચારની હેડલાઈન એવી હોવી જોઈએ કે 50 જગ્યાએ સબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચ માટે વિદ્યાર્થીને ફસાવ્યો. પૈસા પડાવી સોનું ચોરી અને વહેંચી દીધાનો પણ ખોટો આરોપ લગાવ્યોફેસબુક પર રિકવેસ્ટ મેં મોકલી છે, મેસેજ મેં કર્યો છે પણ સામે નંબર એ શિક્ષિકાએ મને આપ્યો છે અને બાદમાં મળવા માટે એણે જ મને મેસેજ કર્યો હતો. અમારી બધી વાતચીતો થતા સમયે એ શિક્ષિકાને હું વિદ્યાર્થી હોવાનો સબંધ યાદ કેમ ન આવ્યો એ મને સવાલ થઇ રહ્યો છે. મારી ઉપર પૈસા પડાવી સોનું ચોરી અને વહેંચી દીધાનો આરોપ પણ લગાવ્યો છે પણ મારી પાસે પુરાવાઓ છે કે જેમાં તેને સામેથી મને કહ્યું છે કે, સોનુ વહેંચી તે મને રૂપિયા આપશે કારણ કે મારી આર્થિક સ્થિતિ સારી ન હતી. આ રૂપિયા આપતી વખતે તેણે મને મેસેજ પણ કરેલો છે કે આ પૈસા હું મારી મરજીથી આપું છું મારે આ પૈસા પાછા જોતા નથી. હું એને ચારધામની યાત્રા અને થાઈલેન્ડ ફરવા લઇ ગયો એવા મારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. મારી પાસે પૈસા હોય તો હું એની પાસેથી રૂપિયા શુકામ લવ મારી ઉપરના તમામ આક્ષેપ અને આરોપ ખોટા છે. 'આને હું સારી સંસ્કારી અને લગ્ન લાયક કેવી રીતે ગણી શકું.?'મને શિક્ષિકાએ પોતે કહ્યું હતું કે, હું તારી સાથે પણ રઈશ અને ડિવોર્સ પછી બીજા સાથે લીવઈન રિલેશનમાં રઉ છું તેની સાથે પણ રઈશ. તો આને હું સારી સંસ્કારી અને લગ્ન લાયક કેવી રીતે ગણી શકું.? એના છૂટાછેડાનું કારણ પણ લગ્ન પછી બીજા સાથેના અનૈતિક સબંધો જ છે તેને એક સંતાનમાં બાળક છે જે તેના પતિ સાથે રહે છે. શિક્ષિકા પોતે મારા કરતા ઉંમરમાં 10 વર્ષ મોટી છે એ કોઈ નાનું બાળક નથી, સબંધ એક બાજુ ન હોય એક હાથે તાલી ન વાગે. વિદ્યાર્થી સાથે સબંધ બાંધે એને કેવી શિક્ષિકા ગણવી જોઈએ.? 'દરરોજ મારી સાથે વાત કરતી હતી મને પોતાના ફોટા પણ મોકલતી'હું તો નાનો છું, તમે પરણિત હતા બાળક પણ હતું સંતાનમાં છૂટાછેડા થયા પછી લિવઈન રિલેશનમાં હોવા છતાં મને બોયફ્રેન્ડ બનાવી હિડનમાં રિલેશન માટે કહ્યું હતું. હું સમજુ ન હતો એ સમયે મને સમજણ ન હતી, પણ શિક્ષિકાને સમજ હતી કે આવું ન કરવું જોઈએ. મને એવું કહ્યું હતું કે, મારો બોયફ્રેન્ડ હાજર નહીં હોય ત્યારે આપણે મળીશું. આ પછી બોયફ્રેન્ડ ન હતો ત્યારે મને ફ્લેટ પર બોલાવ્યો હતો અને અમે મળ્યા હતા. ત્રણથી ચાર વખત મળ્યા બાદ મને લગ્ન કેમ ન કર્યા પૂછતાં મેં પોતે લગ્ન નથી કરવા કોઈ સાથે તેવું જણાવ્યું હતું. શિક્ષિકા દરરોજ મારી સાથે વાત કરતી હતી મને પોતાના ફોટા પણ મોકલતી હતી. 'મારી મંગેતર પર હાથ ઉપાડ્યો, મને બદનામ કરી દીધો છે'મારી સગાઇ થઇ એ પહેલા શિક્ષિકાએ નોકરી છોડી દીધી હતી. શહેરમાં પોતે બદનામ થઇ ગઈ હોવાથી રૂપિયા પડાવી પોતાને વિદેશમાં સેટ થવું હતું એના માટે પોતે મને ટાર્ગેટ બનાવ્યો હતો. મારી માતાએ ગાળો આપી છે અને ગોંડલની ગુંડી હોવાના આક્ષેપ કર્યા છે. તો મારી માતા ઉપર 50 કેસ હોવા જોઈએ પણ કેસ તો એકપણ નથી. ગાળો મારા માતાને શિક્ષિકાએ આપી છે, મારી મંગેતર ઉપર હાથ ઉપાડ્યો છે. મને બદનામ કરી દીધો છે. કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મદદ કરજો કહી ઝેર પીધુંસવારે પોતે સ્કૂલ પર જતી બપોરે મને જમવા બોલાવે હું ન જતો તો મારી ઓફિસ આવે પછી મને નીચે બોલાવે. ન જાવ તો ઉપર આવવાની ધમકી આપતી અને પરાણે મને ઘરે બપોરે જમવા બોલાવતી હતી. મને આ શિક્ષિકાએ બદનામ કરી ફસાવ્યો છે અને કાયદાનો દૂર ઉપયોગ કર્યો છે. મારી પાસે પૈસાની વારંવાર માંગણી કરી છે, મેં ન આપતા ધમકી આપી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ કેસમાં ફસાવી દઈશ કહી કોર્ટમાં કાયદા બધા સ્ત્રી તરફે છે કહી મને ધમકી આપી બદનામ કર્યો છે. આ શિક્ષિકાનું કામ જ પૈસા પડાવવાનું છે, મને ધમકી આપતી હતી એ સાચી પડી છે અને ખોટી ફરિયાદ કરી મને ફસાવી દીધો છે. મારા માતા પિતા મિત્રો સ્નેહીજનો મને માફ કરજો.. હું અપેક્ષા કરીશ કે તમે મને અને મારા પરિવારને ન્યાય અપાવશો અને આવી કપટી શિક્ષિકાને સજા દેવડાવવામાં મને અને મારા પરિવારને હેલ્પ કરશો. મારા મર્યા બાદ તમારા બધાનો ખુબ ખુબ આભાર.
આડા સંબંધ મુદ્દે સસરાની હત્યા:વઢવાણમાંથી પુત્રવધૂ, પ્રેમી સહિત ત્રણની ગણતરીની કલાકોમાં ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે આડા સંબંધોના મુદ્દે સસરાની હત્યા કરવામાં આવી છે. પુત્રવધૂ, તેના પ્રેમી અને અન્ય એક શખ્સે મળીને સસરાને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જોરાવરનગર પોલીસે આ મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફુલગ્રામ ગામમાં રહેતા રમેશભાઈ નાનુભાઈ ગાબુની પુત્રવધૂ ચકુ અશોકભાઈ ગાબુને ગામના જ સોહિલ રમેશભાઈ જીડીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધનો સસરા રમેશભાઈ ગાબુ અને તેમના જેઠ મહેશભાઈ રમેશભાઈ ગાબુ અવારનવાર વિરોધ કરતા હતા અને ઠપકો આપતા હતા. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. સસરા દ્વારા વારંવાર ઠપકો આપવાથી નારાજ થયેલી પુત્રવધૂ ચકુબેન, તેના પ્રેમી સોહિલ જીડીયા અને અન્ય એક શખ્સ સુરેશ જીડીયાએ રમેશભાઈ ગાબુના ઘરમાં ઘૂસી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે રમેશભાઈના શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પરિવારજનોએ રમેશભાઈને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના જેઠ મહેશભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે સોહિલ રમેશભાઈ જીડીયા, સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડીયા અને ચકુબેન અશોકભાઈ ગાબુ એમ ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પાલડીની અંકુર વિદ્યાલયમાં ગઈકાલે (26 માર્ચે) રામનવમીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા વિવાદ થયો છે. જાહેર રજા હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવતા કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળા, કોલેજો અને કચેરીઓમાં જાહેર રજાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતો હોય છે. ગત વર્ષે પણ સરકાર દ્વારા જાહેર રજાનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રામનવમીની જાહેર રજા 27 માર્ચના જાહેર કરી હતી. પરંતુ તેમાં ફેરફાર કરીને 26 માર્ચ જાહેર રજા નક્કી કરવામાં આવી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા નવો જાહેર રજાનો કાર્યક્રમ પણ તમામ શાળાઓને મોકલવામાં આવ્યો હતો.પરંતુ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા જાહેર રજાના કાર્યક્રમનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે. અંકુર વિદ્યાલયમાં રજાના દિવસે શૈક્ષણિક કાર્યપાલડીમાં આવેલી અંકુર વિદ્યાલયમાં શૈક્ષણિક રામવામીની જાહેર રજામાં પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળતા શાળાને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. નવો જાહેર રજાના કાર્યક્રમથી અજાણ હોવાથી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાનો શાળાએ મૌખિક ખુલાસો રજૂ કર્યો હતો. પરંતુ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ખુલાસા દરમિયાન શાળાની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. ફરિયાદ મળતા શાળાને નોટિસ ફટકારી: DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અંકુર વિદ્યાલયમાં ગઈકાલે (26 માર્ચે) રામનવમીના જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખી હોવાની ફરિયાદ મળી છે. જેથી અંકુર વિદ્યાલયને શો કોઝ નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળાએ મૌખિક ખુલાસામાં એવું જણાવ્યું છે કે રામનવમીની રજા ગઈકાલના બદલે આજે એટલે કે એક દિવસ પછી હોવાનો ખ્યાલ હતો. વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉના કેલેન્ડરની તારીખ પછી સરકારે કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. સરકારે કરેલા કાર્યક્રમના ફેરફારથી અજાણ હોવાનું મૌખિક જવાબ રજૂ કરેલ છે. જોકે શાળાને નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી જવાબ રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો શાળાની બેદરકારી જણાશે તો નિયમ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે.
પાટડીમાં ઉનાળા માટે મફત છાશ સેવા કેન્દ્ર શરૂ:વિજય ચોક ખાતે દાતાઓ દ્વારા આયોજન, આખો ઉનાળો ચાલુ રહેશે
પાટડીમાં આકરા ઉનાળાને ધ્યાનમાં રાખીને મફત ઠંડી છાશ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રામ નવમીના પવિત્ર દિવસથી શરૂ થયેલું આ સેવા કેન્દ્ર વિજય ચોક, ગાડી દરવાજા અંદર કાર્યરત થયું છે અને સમગ્ર ઉનાળા દરમિયાન ચાલુ રહેશે. આ સેવાના મુખ્ય દાતાઓમાં પાટડીના વતની અને હાલ સુરત નિવાસી કમલેશ પરીખ અને મુકેશ પટેલનો સમાવેશ થાય છે. તેમણે આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપ્યું છે, જેનો ઉદ્દેશ્ય ગરમીમાં લોકોને રાહત આપવાનો છે. આ છાશ સેવા કેન્દ્ર દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પાંચ હાટડી યુવક મંડળ, જમાદાર વાસ અને ગાડી દરવાજા વિસ્તારના યુવાનો જેવા કે મોન્ટુ ઠક્કર, તીલેશ અધ્યારુ, દેવાંગ પટેલ, ભીમસેન જમાદાર, ભદ્રેશ અધ્યારુ અને હાકીમ સહિતના સભ્યો આ સેવા કાર્યમાં સક્રિયપણે સહયોગ આપી રહ્યા છે.
ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સામૂહિક ચાલીસા અનુષ્ઠાન બાદ ચૈત્ર આઠમે 24 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માની સુક્ષ્મ પ્રેરણાથી, ગાયત્રી પરિવાર દ્વારા 19 માર્ચ, 2026થી 26 માર્ચ, 2026 સુધી દરરોજ રાત્રે 8થી 10:30 વાગ્યા દરમિયાન સામૂહિક ગાયત્રી ચાલીસા અનુષ્ઠાન યોજાયું હતું. આ કાર્યક્રમ ત્રિપદા આરોગ્ય અને શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સંપન્ન થયો હતો. અનુષ્ઠાન બાદ, 27 માર્ચના રોજ 24 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ગર્ભસંસ્કાર, અન્નપ્રાસન સંસ્કાર અને વિદ્યારંભ સંસ્કાર સહિતના વિવિધ સંસ્કારો ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના રાજુ પટેલ, ભગવતીબેન, ધનીશાબેન, જયશ્રીબેન પટેલ સહિતની મહિલાઓ અને અન્ય સભ્યોએ સક્રિય યોગદાન આપ્યું હતું.
હિંમતનગરમાં ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ:“મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમની ચર્ચા
હિંમતનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 29 માર્ચના રોજ યોજાનાર “મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કાર્યકરોને આવનારા કાર્યક્રમને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ઝોનલ મહામંત્રી પ્રેમલ દેસાઈ, મુખ્ય વક્તા અતુલ દીક્ષિત, પ્રભારી ગોપાલસિંહ રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્ર પટેલ, વિનોદ પટેલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, હોદ્દેદારો, મંડલ ટીમ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો પણ હાજર રહ્યા હતા. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગલેએ આજે આણંદ ખાતે 111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે આણંદ સ્થિત ડેડીકેટેડ EVM વેરહાઉસની મુલાકાત લીધી હતી અને તેનું ત્રિમાસિક નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સંદીપ સાગલેને ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી અંગેની તૈયારીઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પેટાચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ખર્ચ પર દેખરેખ રાખવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરાયું છે. વિવિધ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા ઉમરેઠ નગરમાં પ્રવેશતા દ્વાર પર વાહનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે છે. EVM મશીનના પ્રથમ તબક્કાનું ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે અને મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે, ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના 306 મતદાન મથકો પર ઉપયોગમાં લેવાનાર EVM મશીનના પ્રથમ તબક્કાનું ચેકિંગ ચાલી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ, પેટાચૂંટણીમાં 200 EVMનું FLC (ફર્સ્ટ લેવલ ચેકિંગ) કરવાનું હોય છે, તે મુજબ EVMનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય નિર્વાચન અધિકારીની EVM વેરહાઉસની મુલાકાત સમયે તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સમયે રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ EVMના પ્રથમ તબક્કાના FLC અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓનો ફાયદો ઉઠાવી કમાણી કરી લેવાના પેંતરા રચતા તત્વો સક્રિય થયા છે. અમરોલી પોલીસે અંજની કેનાલ પાસે ધમધમતા એક એવા ગેરકાયદેસર પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો છે, જ્યાં કોઈપણ મંજૂરી વગર ખુલ્લેઆમ સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી બે ટેન્કર સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટી સ્ટોલની આડમાં ચાલતું કૌભાંડઅમરોલીથી વેલંજા તરફ જતા રોડ પર અંજની ઇન્ડસ્ટ્રીઝ કેનાલ પાસે 'જય દ્વારકાધીશ ટી સ્ટોલ'ની બાજુમાં આ નેટવર્ક ચાલતું હતું. પોલીસને બાતમી મળી હતી કે અહીં ગેરકાયદેસર રીતે પેટ્રોલ પંપ ઊભો કરી દેવામાં આવ્યો છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ માર્કેટ રેટ કરતા ખૂબ જ સસ્તા ભાવે, એટલે કે માત્ર 77 પ્રતિ લિટર લેખે હલકી ગુણવત્તાનું ડીઝલ વેચી રહ્યાં હતાં. પોલીસે બે આરોપીઓને દબોચી લીધાપોલીસે સ્થળ પરથી બે શખસોને ઝડપી પાડ્યા છે. જેમાં ભરતભાઇ કલાભાઇ કેરાસીયા (ઉ.વ. 43) (રહે. મણીબાગ સોસાયટી, કતારગામ, મૂળ ભાવનગર) અને મહેશભાઇ દિયાલભાઇ ખીસડીયા (ઉ.વ. 32) (રહે. ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, મૂળ અમરેલી)નો સમાવેશ થાય છે. આ કેસમાં ભાવનગરના દિનેશભાઇ ભુપતભાઇ કાતરીયા અને અશોકભાઇ કુવાડીયાને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરવામાં આવી છે. શું શું જપ્ત કરવામાં આવ્યું?દરોડા દરમિયાન પોલીસે જે મુદ્દામાલ કબજે કર્યો છે તેમાં મોટા ટેન્કરોનો સમાવેશ થાય છે. 15 લાખની કિંમતનું ટાટા કંપનીનું ટેન્કર (GJ-12-CT-0325) અને 7 લાખની કિંમતનું અશોક લેલેન્ડ બડા દોસ્ત ટેન્કર (GJ-04-AW-3602) કબ્જે કરવામાં આવ્યું છે. આ સાથે 800 લિટર હલકી ગુણવત્તાનું ડીઝલ (કિંમત 61,200), બે નંગ મોબાઈલ અને હિસાબી ડાયરીઓ તથા બિલબુક મળી આવી છે. ગંભીર કલમો હેઠળ ગુનો દાખલઆરોપીઓ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 318(2) અને 287 હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ એક્ટ 1934 અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ (આવશ્યક ચીજવસ્તુ ધારો) ની વિવિધ કલમો હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેના મુખ્ય સપ્લાયર્સ કોણ છે.
પ્રો. કે.પી. પટેલનો 90મો જન્મદિવસ:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહ અધ્યાપકોએ સરપ્રાઈઝ ઉજવણી કરી
પાટણ કોલેજના પૂર્વ ફિઝિકલ ડાયરેક્ટર પ્રો. કાંતિલાલ પરસોત્તમદાસ પટેલ (કે.પી. પટેલ) નો 90મો જન્મદિવસ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહ અધ્યાપકો દ્વારા સરપ્રાઈઝ ઉજવણી કરીને મનાવવામાં આવ્યો હતો. પાટણના રમતવીરોના ગુરુવર્ય તરીકે જાણીતા પ્રો. કે.પી. પટેલ માટે આ એક ખાસ પ્રસંગ હતો. આ ઉજવણીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહ અધ્યાપકોને એકસાથે જોઈને પ્રો. કે.પી. પટેલ અને તેમનો પરિવાર અત્યંત ખુશ થયો હતો. તેમના પુત્રવધૂ કુસુમબેન દીપકભાઈ, પૌત્રવધૂ ડો. ત્રિશલા દેવ, પૌત્રી હિનલ હિરેનકુમાર સહિતના પરિવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. કે.પી. પટેલે પાટણ કોલેજમાં ચાર દાયકા સુધી ફિઝિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તેમણે શિસ્ત અને નિયમિતતા પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તેમના સહ અધ્યાપકોમાં પ્રો. રેવડીવાલા, પ્રો. ડી.કે. શાહ, પ્રો. જે.કે. વ્યાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમના ભૂતપૂર્વ રમતવીર વિદ્યાર્થીઓ જેવા કે શંકરભાઈ રાવલ (સુરત), જયપ્રકાશ પટેલ, જયશંકર મહેતા (વલસાડ), હીરાભાઈ પ્રજાપતિ, ડીએસપી ચંદનસિંહ રાજપૂત, બળદેવસિંહ સોલંકી, ઉમેદજી ઠાકોર, લાભુભાઈ નાયક, ભીખુભાઈ, બાબુજી ગોહિલ, બાબુજી પઢિયાર, અરજણ દેસાઈ, પ્રશાંત રાવલ, મહેશ પટેલ, હરેશ મોદી, રાકેશ પટેલ, પરેશભાઈ, પઠાણભાઈ, હિમાંશુ વ્યાસ, ગુડ્ડીબેન કેદારભાઈ આચાર્ય, માલ્વીકા જોષી, રાગિણી પરીખ સહિત અનેક મહાનુભાવોએ પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા. 80 વર્ષીય ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ રાવલે પ્રો. કે.પી. પટેલની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા અને તેમના યોગદાનને બિરદાવ્યું હતું.આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. રેવડીવાલા, ડીવાયએસપી જગદીશભાઈ શ્રીમાળી અને યશપાલ સ્વામીએ કર્યું હતું. ભેટ-સોગાદો અને ગાડીની વ્યવસ્થા પાટણના હસુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મીનાબેન પટેલે કરી હતી.
વાંસદા પોલીસે સરા ગામના એક નિવૃત્ત CRPF જવાન વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જવાન પર પરવાનગી વિના 800 થી 1000 લોકોની મેદની એકઠી કરીને લાઉડસ્પીકરનો ઉપયોગ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવાનો આરોપ છે. આ ઘટના 24 માર્ચ, 2024 ના રોજ બની હતી. ઉનાઈ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સરા ગામના ગામીત ફળિયામાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડીને કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઘટનાસ્થળે પહોંચતા, પોલીસે ખ્રિસ્તી ધર્મના આશીર્વચન અને બાઈબલના પ્રવચનનો કાર્યક્રમ ચાલતો જોયો હતો. કાર્યક્રમના આયોજક તરીકે કમલેશભાઈ દિલીપભાઈ પટેલ (ઉંમર 45, રહે. સરા ગામ) ની ઓળખ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આસામ ખાતે CRPFની 30 બટાલિયનમાંથી નિવૃત્ત થયા છે અને પોતાની નિવૃત્તિના સન્માનમાં તેમજ પ્રભુનો આભાર માનવા માટે આ ભોજન સમારંભ અને ધાર્મિક સભાનું આયોજન કર્યું હતું. જોકે, કમલેશભાઈ પટેલે આ સભા અને લાઉડસ્પીકરના ઉપયોગ માટે કાર્યપાલક મેજિસ્ટ્રેટ (વાંસદા) કે અન્ય કોઈ સત્તાધિશ પાસેથી પૂર્વ મંજૂરી મેળવી ન હતી. નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા કાયમી જાહેરનામા મુજબ આવા કાર્યક્રમો માટે પૂર્વ મંજૂરી ફરજિયાત છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કમલેશભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં 5,000 જેટલા લોકો એકઠા થયા હતા અને મહારાષ્ટ્રથી પાસ્ટરને બોલાવી પ્રવચન શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોએ આને ધાર્મિક પ્રચારનો એજન્ડા ગણાવ્યો છે. ષડયંત્રનો આક્ષેપ: ગરીબ આદિવાસીઓને લક્ષ્ય બનાવવામાં આવે છે હિન્દુ સંગઠનના અગ્રણી અશ્વિનભાઈ બારોટે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમને જવાનની દેશસેવા માટે ગૌરવ છે, પરંતુ આ કાર્યક્રમમાં 4 થી 5 હજાર ગરીબ આદિવાસીઓને એકત્ર કરી ધર્માંતરણનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તાપી જિલ્લાની જેમ હવે નવસારીના અંતરિયાળ ગામોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેની સામે પ્રશાસને સતર્ક થવું જરૂરી છે. આસપાસના 10 ગામોમાં અશાંતિનો ભય પોલીસને આપવામાં આવેલી અરજીમાં સરા ઉપરાંત ધરમપુરી, કેવડી, ખરજઇ, કુકડા અને મહુવાસ જેવા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે બહારથી આવતા લોકો દ્વારા આવી પ્રવૃત્તિઓ ચલાવી આદિવાસી સમાજમાં અંદરોઅંદર વેરભાવ અને અશાંતિ ઊભી કરવામાં આવી રહી છે હોવાનો આક્ષેપ કરાયો છે રાજકીય પક્ષોના પ્રતિભાવો ધારાસભ્ય અનંત પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આદિવાસીઓ જન્મથી જ આદિવાસી છે, કોઈ ધર્મથી નહીં. બંધારણના આર્ટિકલ 25 મુજબ અનામતનો લાભ જન્મના આધારે મળે છે. અમે પ્રકૃતિ પૂજક છીએ અને અમારી પોતાની સંસ્કૃતિ છે. પ્રાર્થના કરવી એ કોઈ પાપ નથી, તે દિવસે પણ માત્ર પ્રાર્થના જ થઈ રહી હતી. તેમણે ઉમેર્યું કે મોહનભાઈ કોકણીની વાત સાચી છે, આદિવાસી અસ્મિતા અને રીત-રિવાજો સર્વોપરી છે અને આદિવાસીત્વ એ કોઈ ધર્મનું મહોતાજ નથી.
રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ રોટરી ક્લબ ઓફ પાટણ સિટીની વિધિવત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પાટણ જનતા હોસ્પિટલ ખાતે 'ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્ર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેતનભાઈ દયાળજીભાઈ અમીને તેમના માતા-પિતાના સ્મરણાર્થે આ કેન્દ્ર માટે ₹11.25 લાખનું દાન આપ્યું છે. આ દાનથી ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે વિડીયો કોલ્પોસ્કોપી અને થર્મો કોએગ્યુલેટર જેવા આધુનિક સાધનો હોસ્પિટલને ભેટ મળ્યા છે. આ સાધનો મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું વહેલું નિદાન કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, જો સામાન્ય ચાંદુ હોય તો તેને શેક આપીને સારવાર પણ કરી શકાશે. આ ઉપરાંત, નવજાત શિશુમાં કમળાની માત્રા લોહી લીધા વગર તરત જ જાણી શકાય તેવું સાધન પણ દાનમાં અપાયું છે. ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ 'ગંગાબા મહિલા કેન્સર નિદાન કેન્દ્ર'ની તકતીનું અનાવરણ કરીને કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ વર્ષનો તેમનો ડ્રીમ થીમ કેન્સરનું વહેલાસર નિદાન અને જાગૃતિ છે, જે આ પ્રોજેક્ટથી પરિપૂર્ણ થશે. તેમણે જનતા હોસ્પિટલની નવીન કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઈ પટેલ, ડો. પ્રમોદભાઈ પટેલ, ડો. મિહિરભાઈ દવે (ગાયનેક), ડો. નિકુલભાઈ ઠક્કર (બાળ રોગ નિષ્ણાત), રોટરી ક્લબ ઓફ પાટણ સિટીના પ્રમુખ અશ્વિનભાઈ જોષી, વ્યોમેશભાઈ પરીખ, ડો. કે.સી. પટેલ (ગાયનેક), રમેશભાઈ પટેલ અને ભારતીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત 'બ્રહ્મમહોત્સવ'માં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ભગવાનના 245 મા પ્રાગટ્ય દિન નિમિત્તે વહેલી સવારે 3:30 વાગ્યે દિવ્ય સ્વામીએ ધર્મવલ્લભદાસજી સ્વામીની નિશ્રામાં હરિકૃષ્ણ મહારાજનું પૂજન વૈદિક વિધિથી સંપન્ન કરાવ્યું હતું. ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર સહિતના પંચામૃત તેમજ કેસર-ચંદન જળથી સ્નાન કરાવી મહાઆરતી ઉતારવામાં આવી હતી. જોગી સ્વામીની પરંપરા અને મનોરથ પૂર્તિઉલ્લેખનીય છે કે, અખંડ ભગવત્ પરાયણ જોગી સ્વામીએ વર્ષ 2003 માં હરિકૃષ્ણ મહારાજના અભિષેકની આ પરંપરા શરૂ કરી હતી. તેમણે આશીર્વાદ આપ્યા હતા કે જે ભક્તો દર મહિનાની સુદ નોમના દિવસે પદયાત્રા કરીને ભગવાનના અભિષેક માટે આવશે, તેમની તમામ સુખદ ઈચ્છાઓ અને માનતા ભગવાન પૂર્ણ કરશે. આ અતૂટ શ્રદ્ધા સાથે આજે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કઠિન શ્રદ્ધા: 4 કલાક દંડવત કરી પહોંચ્યા ભક્તોપ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર, ભક્તિની પરાકાષ્ઠા જોવા મળી હતી જેમાં જેનિસ પટોળીયા, વિનુભાઈ વઘાસીયા, ઘનશ્યામ પટેલ અને પરેશભાઈ સતાણી જેવા અનેક ભાવિકો સતત 4 કલાક સુધી દંડવત પ્રણામ કરતા મંદિર પહોંચ્યા હતા. પદયાત્રા કરીને આવેલા ભક્તોએ ગોપાળાનંદ સ્વામીના 200 વર્ષ જૂના બીજ મંત્રની આહુતિ આપી યજ્ઞનારાયણની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી. મહિલા ભક્તોએ પણ કલ્યાણ મંત્રના ગાન સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. પ્રસાદીના દૂધનો વિશિષ્ટ ઉપયોગગુરુકુલ દ્વારા પર્યાવરણ અને શ્રદ્ધાનો સમન્વય સાધતા અભિષેક કરેલા દૂધનો વ્યય કરવામાં આવતો નથી. ભગવાનને ધરાવેલા આ પ્રસાદીના દૂધમાં સાકર ભેળવીને તમામ હરિભક્તોને વિતરણ કરવામાં આવે છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ભાવિકોએ આ પવિત્ર પ્રસાદી અને વરિયાળી જળનું ભાવપૂર્વક પાન કર્યું હતું.
ઉર્જા સંકટ પર બેઠક PM મોદીની રાજ્યોના CM સાથે બેઠક LIVE, લોકડાઉનની અફવા પર કેન્દ્રની સ્પષ્ટતા
PM Modi CM meeting | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં માઠી અસર પડી રહી છે. ભારતમાં પણ ઓઈલ અને ગેસ અંગે ચિંતા વધી છે. એવામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે દેશના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી રહ્યા છે. યુદ્ધના કારણે ભારતમાં આવી રહેલા પડકારો સામે રાજ્યોની તૈયારી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ યુદ્ધ અંગે લોકસભા અને રાજ્યસભામાં સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકારોને સહકાર આપવા તથા 'ટીમ ઈન્ડિયા'ની ભાવનાથી કામ કરવા હાંકલ કરી હતી.
માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું આયોજન કરી રહેલા મુસાફરો માટે રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12475, હાપા–માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તેના નિર્ધારિત અંતિમ સ્ટેશન સુધી પહોંચશે નહીં. ઉત્તર રેલવેના જમ્મુ તવી ડિવિઝનમાં ચાલી રહેલા મેન્ટેનન્સ કાર્યોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શા માટે લેવાયો આ નિર્ણય?રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, જમ્મુ તવી અને માતા વૈષ્ણોદેવી કટરા સેક્શન વચ્ચે હાલમાં વિદ્યુતિકરણ (Electrification) અને ટ્રાફિક બ્લોકનું કામ ચાલી રહ્યું છે. આ ટેકનિકલ કામગીરીને કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે, જેના પરિણામે સુરક્ષા અને સુવિધાના ભાગરૂપે આ ફેરફાર કરવામાં આવ્યો છે. ક્યાં સુધી દોડશે આ ટ્રેન?31 માર્ચે ઉપડનારી આ ટ્રેન તેના છેલ્લા સ્ટેશન 'માતા વૈષ્ણોદેવી કટરા' ને બદલે માત્ર શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. આ ટ્રેન શહીદ કેપ્ટન તુષાર મહાજન અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચેના આશરે 25 કિલોમીટરના અંતર માટે આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રિપ દરમિયાન ટ્રેનનું કટરા સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં. રેલવેની મુસાફરોને અપીલરેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આગળનું આયોજન કરે. મુસાફરીમાં કોઈ અસુવિધા ન થાય તે માટે ટ્રેનના સંચાલન અંગેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરી કરતા એર ઈન્ડિયાના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. એર ઈન્ડિયાએ તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી 29 માર્ચ, 2026થી ટર્મિનલ-1 (T1) પરથી ટર્મિનલ-2 (T2) પર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એર ઈન્ડિયાની માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ જ ટર્મિનલ-2 પરથી કાર્યરત હતી, પરંતુ હવે સાપ્તાહિક 210 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ અહીંથી જ કરવામાં આવશે. અદ્યતન સુવિધાઓનો લાભ મળશેમુસાફરોના અનુભવને વધુ બહેતર બનાવવાના આશય સાથે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 49,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં મુસાફરોને 52 ચેક-ઈન કાઉન્ટર, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા અને 17 ડિપાર્ચર ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ મળશે. વધુમાં, આગમન અને પ્રસ્થાન માટે 8 ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ઇ-ગેટ્સ પણ કાર્યરત છે, જે મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે. મુસાફરો માટે સૂચનાએર ઈન્ડિયા દ્વારા તમામ મુસાફરોને SMS અને ઈ-મેઈલ દ્વારા આ ફેરફાર અંગે જાણ કરવામાં આવી રહી છે. છેલ્લી ઘડીની અસુવિધા ટાળવા માટે મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત બે વાર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે. હવેથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ માટે માત્ર ટર્મિનલ-2નો જ ઉપયોગ કરવાનો રહેશે.
વર્ષ 2024-25 દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મળેલા કુલ ₹6648.56 કરોડના દાનમાં ગુજરાતનો ₹309.18 કરોડનો ફાળો સામે આવ્યો છે. જોકે, આ આંકડો રાજ્યની આર્થિક શક્તિ દર્શાવે છે, પરંતુ તેની અંદર રહેલું અસંતુલન લોકશાહી માટે ચિંતાજનક બની રહ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાનેરાજ્યવાર આંકડાઓ મુજબ દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે, પરંતુ પક્ષવાર વિતરણમાં ભારે તફાવત જોવા મળે છે. ગુજરાતમાંથી ભાજપને ₹308.38 કરોડનું વિશાળ દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર ₹0.696 કરોડ અને આમ આદમી પાર્ટીને ₹0.101 કરોડ મળ્યા છે. આ એકતરફી દાનનો પ્રવાહ રાજકીય સ્પર્ધાની સમાનતા પર સવાલ ઊભા કરે છે. કોર્પોરેટ દબદબો, સામાન્ય દાતાઓ ગાયબગુજરાતમાંથી મળેલા કુલ દાનમાં ₹250.44 કરોડ (લગભગ 81%) ફાળો કોર્પોરેટ/બિઝનેસ હાઉસિસનો છે, જ્યારે વ્યક્તિગત દાતાઓનો ફાળો માત્ર ₹57.55 કરોડ (19%) રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજકીય દાનમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી ખૂબ ઓછી રહી છે અને મોટા ઉદ્યોગગૃહોનું પ્રભુત્વ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, શું મોટા દાતાઓના હિતોને ધ્યાનમાં રાખીને નીતિ નિર્ણયો લેવામાં આવશે? શું આર્થિક શક્તિ રાજકીય દિશા નક્કી કરી રહી છે? દાતાઓનું લિસ્ટ જોવા ક્લિક કરો: ગુજરાતને દાન આપનાર તમામ દાતાઓ વિરોધ પક્ષોની નબળી આર્થિક સ્થિતિકોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા નગણ્ય દાન દર્શાવે છે કે, રાજ્યમાં વિરોધ પક્ષો માટે જરૂરી આર્થિક સપોર્ટ ઉપલબ્ધ નથી. લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી હોય છે, પરંતુ દાનના અભાવે તેમની અસરકારકતા ઘટી શકે છે. ટોપ દાતાઓમાં થોડા હાથે મોટું દાનટોચના દાતાઓની યાદીમાં મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓનો જ દબદબો છે. થોડા જ દાતાઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, જે રાજકીય ફંડિંગના કેન્દ્રિકરણ તરફ ઈશારો કરે છે. નાના દાતાઓની ભૂમિકા અહીં લગભગ ગાયબ દેખાય છે. પુનરાવર્તિત દાન અને ટ્રસ્ટ્સનો પ્રશ્નકેટલાક દાતાઓએ એકથી વધુ વખત દાન આપ્યું છે અને ટ્રસ્ટ તથા સંસ્થાઓ મારફતે પણ ફંડિંગ થયું છે. આ પ્રકારની વ્યવસ્થા પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરે છે, કારણ કે દાનના મૂળ સ્ત્રોત વિશે સંપૂર્ણ સ્પષ્ટતા રહેતી નથી. ગુજરાતના આ આંકડાઓ દર્શાવે છે કે રાજકીય દાનમાં અસંતુલન વધી રહ્યું છે. ભાજપને મળતો વિશાળ ફાળો તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે, પરંતુ વિરોધ પક્ષોને મળતો નગણ્ય ફાળો લોકશાહીના સ્વસ્થ માળખા માટે ચિંતાજનક છે. કોર્પોરેટ દાતાઓનો વધતો પ્રભાવ રાજકીય અને નીતિગત નિર્ણયો પર અસર કરી શકે છે. આવી પરિસ્થિતિમાં પારદર્શિતા, જવાબદારી અને સમાન તક આ ત્રણેય મુદ્દા હવે કેન્દ્રસ્થાને આવી રહ્યા છે. આગામી સમયમાં સવાલ એ રહેશે કે, શું રાજકીય દાનમાં સંતુલન લાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવશે કે નહીં.
ઘરશાળા હોમસ્કૂલમાં સેમિનાર યોજાયો:ગણિતનું મહત્વ, રીલ લાઈફથી રિયલ લાઈફ વિષયે માર્ગદર્શન અપાયું
શહેરની ઘરશાળા સંસ્થા (હોમસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ) ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓના સર્વાંગી વિકાસ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધારવાનો અને ડિજિટલ યુગમાં વાસ્તવિક જીવનનું મહત્વ સમજાવવાનો હતો. આ સેમિનારમાં મુખ્યત્વે બે વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું: 'રોજિંદા જીવનમાં ગણિતનું મહત્વ' અને 'રીલ લાઈફથી રિયલ લાઈફ તરફ કેવી રીતે વળવું'. બળવંત પારેખ વિજ્ઞાન નગરીમાંથી પધારેલા ગણિતના તજજ્ઞ લક્ષ્મણભાઈ બારૈયાએ ગણિતના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગણિત માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. દક્ષિણામૂર્તિ સંસ્થાના ભૂતપૂર્વ આચાર્ય ભરતભાઈએ વિદ્યાર્થીઓ અને વાલીઓને 'રીલ લાઈફ' અને 'રિયલ લાઈફ' વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી જીવનના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે 'અગ્નિ બ્રહ્મા સાયન્સ ફેર'માં ભાગ લેનાર અને ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્યા નેહા ભટ્ટ અને ઉપઆચાર્યા હિરણાકશીબેન મકવાણા દ્વારા શાળાની વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષકો હર્ષ સર અને વિનીત સર દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જયપ્રકાશ નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 45, ખટોદરા કોલોની ખાતે 25 માર્ચ 2026, બુધવારના રોજ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ પણ યોજાયો હતો. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા, ઉપાધ્યક્ષા રંજનાબેન ગોસ્વામી, નિરીક્ષક હસનશા ફકીરશા, યુઆરસી રાકેશભાઈ પાઠક, સામાજિક આગેવાનો દેવેન્દ્રભાઈ અને વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, નિવૃત્ત શિક્ષકો, સેવકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારના આચાર્ય તથા શિક્ષકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. વાર્ષિકોત્સવની વિશેષતા એ હતી કે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર બાળવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 317 બાળકોને શૈક્ષણિક તથા અન્ય પ્રવૃત્તિઓ આધારિત ઇનામ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શૈક્ષણિક સિદ્ધિ મેળવી સરકારી વિભાગો કે અન્ય વ્યવસાયિક સંસ્થાઓમાં નોકરી મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. નિવૃત્ત શિક્ષકો, સેવકો અને શાળાના બિન-શૈક્ષણિક સ્ટાફને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયાએ બાળકો અને વાલીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. ધોરણ આઠના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરી વિદાયની ક્ષણોને યાદગાર બનાવી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત ગાન સાથે કરવામાં આવ્યું હતું.
ભરૂચ કોર્ટમાં બોમ્બની અફવા:પોલીસ દોડી આવી, પરિસર ખાલી કરાવાયું; જનજાગૃતિ માટે મોકડ્રિલ યોજાઈ
ભરૂચ શહેરની જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી મળતા પોલીસ તંત્ર સક્રિય થયું હતું. સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવી ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતા જ વિભાગીય પોલીસ વડા સી.કે.પટેલના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમો દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. વિસ્તૃત તપાસ બાદ સમગ્ર ઘટનાને 'મોક ડ્રિલ' તરીકે જાહેર કરવામાં આવી હતી. આ મોક ડ્રિલનો મુખ્ય હેતુ કોર્ટ પરિસરમાં બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવે ત્યારે તાત્કાલિક અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવાની તૈયારી કરાવવાનો હતો. તાજેતરમાં કોર્ટને બોમ્બની ધમકીઓ મળવાના બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં બે રાષ્ટ્રીય FIDE રેટેડ ચેસ ટુર્નામેન્ટ:ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ગુજકોસ્ટ દ્વારા આયોજન
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા અમદાવાદમાં બે રાષ્ટ્રીય કક્ષાની FIDE રેટેડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ નારણપુરા સ્થિત ઓલિમ્પિક સ્તરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ અંડર-18 ચેસ ટુર્નામેન્ટ’ 28 માર્ચ, 2026ના રોજ અને ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટ’ 29 માર્ચ, 2026ના રોજ યોજાશે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ક્રીડા-ભારતી ગુજરાત પ્રાંત જેવી અગ્રણી સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે. આ અંગે માહિતી આપતાં સંયોજક ડૉ. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ બંને ચેસ સ્પર્ધાઓમાં દેશના 24 રાજ્યોમાંથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ અને ફિડે માસ્ટર્સ સહિતના ખેલાડીઓ ભાગ લેશે. અંડર-18 કેટેગરીમાં 967 ખેલાડીઓએ અને રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં 968 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં 115 વિજેતાઓને કુલ 7 લાખ રૂપિયાની ઇનામી રાશિથી સન્માનિત કરાશે, જ્યારે અંડર-18 સ્પર્ધામાં 133 વિજેતાઓને 4 લાખ રૂપિયાની ઇનામી રાશિ અપાશે. ડૉ. મહેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં નાના અને મોટી ઉંમરના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કેટેગરી પણ બનાવવામાં આવી છે. જેમાં દિવ્યાંગ સ્પર્ધકો તેમજ 50, 60 અને 65 વર્ષથી ઉપરની વયજૂથના વિજેતાઓને ઇનામી રાશિથી સન્માનિત કરાશે. આ ઉપરાંત, 7 થી 15 વર્ષ સુધીના તમામ વયજૂથના વિજેતા ભાઈઓ અને બહેનોને પણ ઇનામ મળશે. બંને સ્પર્ધાઓના તમામ સહભાગીઓને ઇન્ટરનેશનલ ચેસ કીટ ભેટ સ્વરૂપે અપાશે અને ઇ-સર્ટિફિકેટ પણ પ્રદાન કરાશે.
ગીર ગઢડાના કાકીડીમોલી ગામમાં રામનવમી ઉત્સવ:ગ્રામજનો દ્વારા રથયાત્રા, ડીજે સાથે ભવ્ય ઉજવણી
ગીર ગઢડા તાલુકાના કાકીડીમોલી ગામમાં રામ નવમી નિમિત્તે ઉત્સવ ઉજવાયો. આ ઉજવણીમાં સમસ્ત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ગામના બાળકો, યુવા મિત્રો, ભાઈઓ, બહેનો અને વડીલો સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ડીજેના તાલે ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અબીલ, ગુલાલ અને કંકુ ઉડાડીને ગામમાં એકતા અને ભક્તિનો માહોલ સર્જાયો હતો.
શ્રી ઉનેવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા રામનવમીના દિવસે અંકુર સ્થિત કામેશ્વર મહાદેવ હોલ ખાતે નવચંડી યજ્ઞ અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈશાલીબેન અને જીગરભાઈ ઠાકર મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞોપવિત સંસ્કાર વિધિમાં સંસ્કાર ઠાકર બટુક તરીકે જોડાયા હતા. સમગ્ર યજ્ઞ અને યજ્ઞોપવિત વિધિ શ્રી પ્રમોદ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન સમાજના પ્રમુખ વિજયભાઈ ઠાકર, ઉપપ્રમુખ યોગેશભાઈ ઠાકર, મંત્રી ભરતભાઈ ઠાકર, સહમંત્રી રાજેશભાઈ ઉપાધ્યાય અને ખજાનચી વિક્રમભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ મનુભાઈ ભટ્ટ, હરિપ્રસાદ પંડ્યા અને જ્યોતીન્દ્રભાઈ જોશી સહિત સક્રિય મહિલા અને પુરુષ કાર્યકરોએ પણ સહયોગ આપ્યો હતો. પ્રમુખ શ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા કાર્યકરોએ આનંદના ગરબા, હનુમાન ચાલીસાના પાઠ, રામ જન્મોત્સવ, ઇનામ વિતરણ વગેરે કાર્યક્રમોનું સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમના સમાપન પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ જ્ઞાતિબંધુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
અમદાવાદના સરખેજ ગામ સ્થિત અંબાપુરી સોસાયટીમાં રામનવમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનું આયોજન અંબાપુરી સોસાયટીના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંજે 8 વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં રામ ધૂન, હનુમાન ચાલીસાનું પઠન અને ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં કિરણભાઈ ઠાકોર, વિકીભાઈ, અજયભાઈ, જીવર્ણભાઈ, પ્રફુલાબેન પટેલ અને પૂનમબેન સહિત અનેક સ્થાનિકો અને નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર પાટીલ આશિષકુમાર જ્ઞાનેશ્વરભાઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા પી. એચ. ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમણે મેનેજમેન્ટ વિષયમાં An Empirical Investigation of Investors' Investment Intentions in Mutual Fund - An Application of Behavioral Finance Approach શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. યુનિવર્સિટીએ આ નિબંધને પી. એચ. ડી. ડિગ્રી માટે માન્યતા આપી છે. આ રિસર્ચ તેમણે G. H. Bhakta Management Academy, DBIM ના આસિસ્ટન્ટ પ્રોફેસર, ડો. નમ્રતા ખત્રીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું.
પાટણ શહેરમાં SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર રોડ પર આવેલા આ મંદિરમાં સ્વામીના પાવન સાનિધ્યમાં હરિભક્તોને આધ્યાત્મિક લાભ મળ્યો હતો.મહોત્સવ નિમિત્તે મંદિર પરિસરને આકર્ષક લાઈટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું. સાંજે આયોજિત સભામાં સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્ર અને તેમના ઉપદેશો અંગે કથા-વાર્તા કરી. હરિભક્તોએ આ કથા-વાર્તાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણના હિંડોળા દર્શન, ભજન-કીર્તન, મહાઆરતી અને વિશેષ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભાવભેર દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ સંસ્થાના અદભુત સ્વામી, અન્ય સંતો અને સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
₹300માં વારસાઈ જમીન વહેંચણી! ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય.માત્ર ₹300માં વારસાઈ જમીન વહેંચણી થઈ શકશે.. ખેડૂતોની સાથે સાથે સામાન્ય નાગરિકોને પણ મોટી રાહત મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય મળશે કર્મચારી અને પેન્શનર્સને મળશે ઝડપી ન્યાય..હવે આવા કેસમાં હાઈકોર્ટના ચૂકાદાને 45 દિવસમાં અમલી બનાવવો ફરજીયાત રહેશે..આવા કેસમાં વારંવાર વિલંબ થતો હોવાથી સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપ જીતશે તો મળશે 10 લાખનો વીમો અરવિંદ કેજરીવાલે આપ્યું દરેક વ્યક્તિને 10 લાખ રુ.નો વીમો આપવાનું વચન.. દાહોદના લીમખેડાના મોટાહાથીધરામાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. જેમાં કેજરીવાલે વાયદો કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પડતર પ્રશ્નો અંગે કિસાન સંઘનો આક્રોશ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા ભારતીય કિસાન સંઘે આક્રોશ સાથે કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યું.જિલ્લા કિસાન સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી કે આગામી દિવસોમાં મોદી સાહેબ આવશે ત્યારે સખત વિરોધ કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો વિરોધ જૂનાગઢની પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓએ વિરોધ કર્યો. 'સમાજ બચાવો- સંસ્થા બચાવો'ના બેનર સાથે વાલીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. વાલીઓએ ટ્ર્સ્ટી કાંતિ ફળદુને હટાવવાની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર ચાલકે બાઈકને 50 મીટર સુધી ઢસડ્યું અમદાવાદના એસ.જી. હાઈવે પર સર્જાયો વિચિત્ર અકસ્માત..કારચાલકે બાઈક ચાલકના ટક્કર મારી.. ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું છતાં કારચાલકે બાઈકને 50 મીટર સુધી ઢસડ્યું. લોકોએ કારચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષની સગીરા પર ઈકો ચાલકનું દુષ્કર્મ મહેસાણાના સતલાસણામાં 16 વર્ષની સગીરા પર ઈકો ચાલકનું દુષ્કર્મ..સગીરાને લગ્નની લાલચ આપી બળજબરી કરી. સગીરા સાત મહિના ગર્ભવતી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીટીસી કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય પીટીસી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી.. ..વાલીએ ફરિયાદ કરવા છતા કોલેજે કોઈ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરટેક કરવા જતા ટ્રક નીચે આવી ગયો ચાલક માણસામાં ઓવરટેક કરવા જતો બાઈક ચાલક ટ્રક નીચે આવી ગયો. ટ્રકના ટાયર પાછળ ઘુસી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. .તો પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મર્સિડિઝ કારમાંથી અજાઅયા પુરુષનો મૃતદેહ મળ્યો અમદાવાદની સરખેજ વિસ્તારમાં એલ.જે . કોલેજ પાસે મર્સિડિઝ કારમાંથી મૃતદેહ મળી આવ્યો.. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હતો.. પ્રાથમિક તપાસમાં મૃતક કારમાલિક નહીં પણ અન્ય કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ડાંગના સુબીર ગામમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં વિધવાનું ઘર આગની ચપેટમાં આવી સંપૂર્ણપણે બળી ગયું છે. ચૌધરી જમનીબેન માલુભાઈ (ઉંમર 65)નું આ ઘર આગના રૌદ્ર સ્વરૂપે ભસ્મ થઈ જતા તેઓ નિરાધાર બની ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં ચૂલામાંથી લાગેલી આગ અચાનક વધવા લાગી હતી. શરૂઆતમાં નાની લાગતી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઘરમાં મુકાયેલ ઢોરચારો (પશુઓ માટેનો ચારો) આગ માટે ઇંધણ સમાન બન્યો અને આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગે ઘરના દરેક ખૂણાને પોતાની ઝપેટમાં લઈ લીધું અને આખું ઘર બળી રાખ થઈ ગયું હતું. આ ઘટનામાં સૌથી દુઃખદ બાબત એ છે કે, જમનીબેન પોતે વિધવા છે અને તેમણે પોતાનાં સ્વખર્ચે આ ઘર બનાવ્યું હતું. ઘર સાથે તેમની જીવનભરની બચત અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ આગમાં બળી ગયા છે. આ દસ્તાવેજોમાં ઓળખપત્ર, મિલ્કતના કાગળો અને અન્ય જરૂરી કાગળો સામેલ હોવાનું માનવામાં આવે છે, જે હવે ફરી મેળવવા માટે તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઘર બળી જતાં જમનીબેન માટે રહેઠાણ, જીવન નિર્વાહ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવી એક મોટો પડકાર બની ગયો છે. સ્થાનિક લોકોએ પ્રશાસન પાસે આ વિધવા મહિલાની મદદ કરવા અપીલ કરી છે. બનાવ અંગે આહવા ફાયર ટીમને જાણ કરતાં પહેલાં જ માત્ર 30 મિનિટમાં જ ઘર પૂર્ણ બળી ગયું હતું. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં આગ જેવી આપત્તિઓ સામે જાગૃતિ અને સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. સમયસર મદદ અને સહાય મળવી જમનીબેન માટે નવી શરૂઆત સાબિત થઈ શકે છે.
વડોદરા શહેરમાં ડોક્ટરે લગ્નની લાલચ આપીને બ્યુટી પાર્લર સંચાલક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાની 28 વર્ષીય યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે ડોક્ટર, તેની બહેન અને માતા-પિતા સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસની તપાસ એસસી-એસટી સેલના એસીપી સી.બી.સોલંકીને આપવામાં આવી છે. યુવતી અને ડોક્ટર વચ્ચે ઓળખાણ બાદ પ્રેમ સંબંધ બંધાયોવડોદરાની યુવતીને વીજ કરંટ લાગતા મૂળ દાહોદના અને વડોદરામાં રહીને તરસાલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ત્યાં સારવાર લેવા માટે ગઈ હતી. ત્યારબાદ યુવતી અને ડોક્ટર વચ્ચે ઓળખાણ થઈ હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ડોક્ટર વિકાસ પટેલ (ઉંમર 32), ડાઇવોર્સી છે, તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ બહાને તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ લગ્ન કર્યાં નહોતા. ડોક્ટરના માતા-પિતાએ જાતિવાચક અપમાનજનક ટીપ્પણીઓ કરીઆ સમગ્ર મામલે વળાંક પર આવ્યો જ્યારે આરોપી ડોક્ટરના પરિવારજનોને ડોક્ટર અને યુવતીના સંબંધ વિષે જાણ થઈ હતી. ડોક્ટરના પરિવારે તેના અન્ય સ્થળે તેના લગ્ન નક્કી કરી દેવામાં આવતા યુવતીએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ડોક્ટરની બહેને તેને માર માર્યો હતો, તેમજ ડોક્ટરના માતા-પિતાએ જાતિવાચક અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. પોલીસે ફરાર આરોપી ડોક્ટરને શોધવા ટીમ બનાવી તપાસ હાથ ધરીઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ એસસી - એસટી સેલના એસીપી સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે. હાલ આરોપી ડોક્ટર ફરાર છે અને પોલીસે તેની શોધખોળ માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ડોક્ટર વિકાસ પટેલ, તેની બહેન તથા માતા-પિતા સામે પણ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસસી-એસટી સેલના એસીપી સી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, આ કેસમાં દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવેસાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું. આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે, સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટર ની સ્થાપના કરવામાં આવે. દિન-પ્રતિદિન AIનો પ્રયોગ વધી રહ્યો છેઆ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન AIનો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
ગુજરાતની રાજધાની ગાંધીનગર પાસે આવેલા પવિત્ર કોબા તીર્થ ખાતે ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતનો એક અનોખો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મહાવીર જન્મકલ્યાણકના પાવન અવસરે, 31 માર્ચ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કરવામાં આવશે. આ મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓનો સંગ્રહ નથી, પરંતુ ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના શાશ્વત મૂલ્યોને વિશ્વ સમક્ષ ઉજાગર કરતું એક જીવંત માધ્યમ બની રહેશે. આ મંગલકારી પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા સહિત દેશભરના નામી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમ્રાટ સંપ્રતિ: અહિંસાના મહાન પ્રચારકની વિરાસતઆ મ્યુઝિયમ મૌર્ય વંશના પ્રતાપી શાસક અને સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ મહારાજને સમર્પિત છે, જેમણે ઈ.સ. પૂર્વે 224 થી 215 દરમિયાન શાસન કર્યું હતું. સમ્રાટ સંપ્રતિને જૈન ધર્મના પ્રખર અનુયાયી અને અહિંસાના વૈશ્વિક પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે. તેમના શાસનકાળ દરમિયાન તેમણે હજારો જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. આ મ્યુઝિયમ તેમના પ્રેરણાદાયી જીવન અને પવિત્ર મૂલ્યોને ભાવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. 6 દાયકાની પદયાત્રા અને 2 લાખ કિલોમીટરનું સંશોધનઆ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. 7 ભવ્ય ગેલેરીઓ: ઇતિહાસની સફરમ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જે મુલાકાતીઓને પ્રાચીન ભારતની કળા અને સંસ્કૃતિનો પ્રવાસ કરાવે છે: પ્રથમ ગેલેરી: અહીં ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન નેમિનાથ સુધીના તીર્થંકરોના જીવન ચરિત્રનું આલેખન છે. 5મી થી 15મી સદીની પ્રાચીન મૂર્તિઓ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. બીજી ગેલેરી: 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ અને ધરણેન્દ્ર-પદ્માવતી દેવીની મૂર્તિઓ દ્વારા આધ્યાત્મિક રક્ષણની પરંપરા સમજાવે છે. ત્રીજી ગેલેરી: ભગવાન મહાવીર સ્વામીના 72 વર્ષના જીવનપ્રવાસ અને 12મી સદી સુધીના જૈન વારસાને અહીં જીવંત કરાયો છે. ચોથી ગેલેરી: 13મી થી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવે છે. અહીં મુઘલ સમ્રાટ અકબર દ્વારા જૈન આચાર્યને આપવામાં આવેલું અસલ ‘ફરમાન’ પ્રદર્શિત કરાયું છે. પાંચમી ગેલેરી: 18મી થી 20મી સદીની કલા-સમૃદ્ધિ, જેમાં ચાંદીના રથ અને લાકડાની કોતરણીના બેનમૂન નમૂનાઓ જોવા મળે છે. છઠ્ઠી ગેલેરી: અહીં 8મી સદીથી અત્યાર સુધીના સિક્કાઓ, વેદ, પુરાણ અને આયુર્વેદના પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ છે, જે ભારતની વૈજ્ઞાનિક અને સાહિત્યિક ક્ષમતા દર્શાવે છે. સાતમી ગેલેરી: આ એક આધુનિક ઓડિટોરિયમ છે, જ્યાં શેત્રુંજય, ગિરનાર અને રાણકપુર જેવા તીર્થધામોની ડિજિટલ પ્રસ્તુતિ જોઈ શકાય છે. આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું મિશ્રણટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી નિર્મિત આ મ્યુઝિયમમાં અત્યાધુનિક ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં મુલાકાતીઓ માત્ર વસ્તુઓ જોશે નહીં, પરંતુ ઇમર્સિવ પ્રેઝન્ટેશન્સ અને આધ્યાત્મિક સંગીત દ્વારા તે યુગનો અનુભવ કરી શકશે. યુ.એન.એમ. ફાઉન્ડેશને આ મ્યુઝિયમની જાળવણી અને સંચાલનની જવાબદારી પણ સ્વીકારી છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ આપણા સહિયારા વારસાની દીવાદાંડી સમાન છે. તે આવનારી પેઢીઓને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ અને કળા વિશે ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા પૂરી પાડશે.
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને કરોડો રૂપિયા પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ અને તેના ભાઈ પ્રતીક પટેલે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી હતી. જેમાં સૌથી પહેલા પોતાના કાકાના નામની જમીન વેચવાનું કહીને 41 કરોડ પડાવી લીધા હતા. કુલ 68.87 કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી, જેમાંથી આરોપીઓએ અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી લીધું છે. 20થી 25 લોકો સાથે પણ બિલ્ડર ભાઈઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદના ACP મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આંગડિયા પેઢી અને ભાગીદારીમાં જમીન લે-વેચનો વ્યવસાય કરનારા મયુર ઠક્કર દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી કરવામાં આવી હતી. મયુર ઠક્કર પોતે જમીન લે-વેચનું કામ કરે છે અને તેમને ઓગસ્ટ 2021માં શહેરમાં જમીન લેવાનું વિચારતા હતા. જેથી મિતેશ પટેલ અને તેમના ભાઈ પ્રતિક પટેલ સાથે તેમને ઓળખાણ થઈ હતી. બંને ભાઈઓએ કાકા સાથે વાત કરીને દસ્તાવેજ કરી આપીશું કહી સમય કાઢ્યોબંને ભાઈઓએ શહેરના સોલા અને થલતેજ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ જમીન બતાવી હતી, જેમાં તેમના કાકાના નામે 16,000 વારની જગ્યા જેની કિંમત 35,000 વારની હતી, તેની 56 કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરી હતી. આ ડીલ નક્કી કર્યા બાદ આંગડિયા મારફતે પહેલા 20 કરોડ અને બાકીની રકમ દસ્તાવેજ આપવા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ, બંને ભાઈઓએ કાકા સાથે વાત કરીને દસ્તાવેજ કરી આપીશું એમ કહી અને થોડો સમય પસાર કરી નાખ્યા હતા. બાદમાં નોટરાઇઝ બાનાખત કરવાની પણ વાત કરતા કહ્યું કે, હું કાકાને વધારે દબાણ કરીશ તો જમીન વેચાણ કરવાની મનાઈ કરી દેશે તમે ભરોસો રાખી મને પૈસા આપો એમ કહી બાકીના 21 કરોડ પણ પડાવી લીધા હતા. મિનેશ પટેલે દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું કે, છતાં પણ વાયદા આપી સમય પસાર કરતા હતા. લગભગ દોઢ વર્ષ કાઢી નાખ્યા બાદ દસ્તાવેજ કરવાનું કહેતા તેમના કાકા જમીન વેચાણ કરવાની મનાઈ કરી રહ્યા છે અને દસ્તાવેજ કરવાની ના પાડે છે, જેથી હું તમને બીજી જમીનનો દસ્તાવેજ કરી આપીશ તેમ કહ્યું હતું. તેમની બીજી એક જમીન વેચાતા 14 કરોડ આવ્યા હતા, જે 14 કરોડ તેમને પરત આપી દીધા હતા અને બાકીના પૈસા રોકડામાં ચૂકવી આપશે અથવા તો બીજી કોઈ જમીનનો દસ્તાવેજ કરી આપશે એવી રીતે તેમને ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. ખેડૂતોને કોઈપણ પ્રકારના વાઉચર આપવામાં આવ્યા નથીવર્ષ 2023માં મિતેશ પટેલે થલતેજની જમીન બતાવી હતી, જેમાં તેમણે પોતે 7082 ચોરસ મીટર જમીનનો સોદો ખેડૂત પાસેથી કર્યો છે અને તેમને જો જમીન લેવી હોય તો જમીન આપી દઈશ. ખેડૂતોને પૈસા ચૂકવી આપ્યા છે એમ કહી અને જમીનના કાગળો બતાવ્યા હતા અને તેના વાઉચરો પણ બતાવ્યા હતા. જે પેટે તેમણે પહેલા 7 કરોડ માંગ્યા હતા. જે ચૂકવી આપ્યા હતા બાદમાં દસ્તાવેજ કરવાનો હતો, જેમાં 16થી 17 ખેડૂતો હતા. માત્ર 5-7 ખેડૂતો આવ્યા હતા અને મિતેશ તેમજ અન્ય ખેડૂતો આવ્યા નહોતા. જે બાદ તપાસ કરતા ખેડૂતોને કોઈપણ પ્રકારના વાઉચર આપવામાં આવ્યા નથી અને બનાવટી વાઉચર હોવાનું સામે આવ્યું હતું. આ જમીન અમારી છે અને તેનો દસ્તાવેજ કરીશુંસ્ટેમ્પ ડ્યુટી પણ 26 લાખ રૂપિયા ભરી દીધી હતી. મિતેશ પાસેથી 44 કરોડ લેવાની બાકી હતા છતાં પણ તેઓ અવારનવાર આપતા નહોતા તેના પૈસા લેવા ઘરે જતા હતા. તેમણે પોતાની માલિકીની સોલા ખાતે આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું ત્યારે મિતેશ પટેલની પત્ની મોક્ષા પટેલ અને તેના ભાઈ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, આ જમીન અમારી છે અને તેનો દસ્તાવેજ કરીશું જેથી તેમની વાત પર ભરોસો કરી લીધો હતો. બીજી એક જમીન પણ બતાવી હતી જે પારિવારિક ઝઘડાના કારણે દસ્તાવેજ નહીં થઈ શકે તેમ કહ્યું હતું. બંને બિલ્ડર ભાઈઓએ ભેગા મળીને ફરિયાદી પાસેથી કુલ 68 કરોડ રૂપિયા જમીન લેવાના બહાને પડાવ્યા હતા જેમાં 64 કરોડ રોકડા અને બાકીના ચાર કરોડ ચેકથી લીધા હતા. આરોપી 2014થી બિલ્ડર લાઈન સાથે જોડાયેલ છેઆરોપી બિલ્ડર મિતેશ પટેલ વર્ષ 2014થી બિલ્ડીંગ લાઈન સાથે સંકળાયેલા છે અને જમીન લે-વેચનો વ્યવસાય કરતાં તેઓ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના ભાઈ પ્રતિક પણ તેમની સાથે ધંધામાં જોડાયેલા હતા છેલ્લા દસ વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે મયુરભાઈ ઠક્કર સાથે જમીનનો વિવાદ ચાલતો હતો ત્યારે મિતેશભાઇના પત્ની મોક્ષાએ ફરિયાદી ઘરે જતા અમારી ઘણી જમીન છે, તમને અમે દસ્તાવેજ કરી આપીશું એવો વિશ્વાસ આપ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં પૈસા નહીં મળે એવું કહેતા અરજી કરીઆરોપીઓ વિરાસત રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામે વ્યવસાય કરે છે. સિંધુભવન રોડ પર આવેલા પામ ગ્લોરી 1,2,3 અને 4 બિલ્ડીંગ તેમને બનાવ્યા છે. જમીનની રકમની અવેજની પેટે 10 જેટલા ફ્લેટ પણ આપેલા છે, જમીન અને રોકડા પૈસા કેટલાક પરત આપવામાં આવ્યા છે. વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં પૈસા નહીં મળે એવું કહેતા આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી કરવામાં આવી હતી અને જેના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરી હતી. મિલકતને સીઝ કરીને પણ કાર્યવાહી કરવામાં આવશેઆરોપીઓએ અન્ય લોકોની સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે કેટલાક લોકો ભોગ બન્યા છે જેથી તેઓ આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ખાતે ફરિયાદ આપશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી દ્વારા જે પૈસા આપવામાં આવ્યા છે તેમાંથી આરોપીઓએ અન્ય જગ્યાએ રોકાણ કર્યું છે, જેની પોલીસ દ્વારા તપાસ કરીને રિકવરી કરવામાં આવશે જો મિલકતમાં રોકાણ કરવામાં આવ્યું હશે તો મિલકતને સીઝ કરીને પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી મિતેશ અને પ્રતીકે જમીન બતાવી દસ્તાવેજ કરવા ના નામે બીજા ખેડૂતના નામે જમીન છે જે તેમના નામે કરાવી પૈસા પડાવ્યા છે અને અલગ અલગ જમીન આપવાનું કહી છેતરપિંડી કરી હોવાનું સામે આવતા હાલ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE (મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009) હેઠળ ધોરણ-1 માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ યોજના અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ, 2026 થી શરૂ થશે. ભારત સરકારના ‘મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009’ ની કલમ 12(1)સી હેઠળ આ પ્રવેશ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો પ્રવેશ માટે પાત્ર છે. વાલીઓએ આગામી 4 એપ્રિલ, 2026 થી 17 એપ્રિલ, 2026 દરમિયાન સત્તાવાર વેબસાઇટ www.rte.orpgujarat.com પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પુરાવા અને અન્ય ટેકનિકલ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદરૂપ થવા માટે જિલ્લા કક્ષાએ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 'નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, કૈલાશ મંદિર પાસે, બેચરપુરા' ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. કોઈપણ માહિતી કે સહાય માટે વાલીઓ કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા હેલ્પલાઇન નંબર 02742-253189 પર ફોન કરી શકે છે. વધુમાં, નોડલ અધિકારી ડૉ. એસ. ડી. જોષી (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બનાસકાંઠા-પાલનપુર) નો પણ સંપર્ક કરી શકાશે. જિલ્લા શિક્ષણ સમિતિએ પાત્રતા ધરાવતા વધુમાં વધુ બાળકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
ગ્રાઉન્ડ, ગ્લેમર અને ગોસિપ્સ:આવતીકાલથી દરરોજ સાંજે 5 વાગ્યે જુઓ, IPL 2026ની મસાલેદાર મોમેન્ટ્સ
IPL 2026ની શરૂઆત સાથે જ દિવ્ય ભાસ્કર એપ આપના માટે લાવ્યું છે MATCH મસાલા 2026. જેમાં ઓન અને ઓફ ફિલ્ડ ચાલતી ગતિવિધીઓ. કેમેરામાં કેપ્ચર ન થયેલી ઘટનાઓ. ચર્ચામાં હોય એવા રૂમર્સ અને ગોસિપ્સ હળવા અંદાજમાં આપની સમક્ષ રજુ કરીશું. તો સતત બે મહિના સુધી દરરોજ સાંજે 5 વાગ્યે માણો ‘MATCH મસાલા’
બોટાદમાં VHP દ્વારા રામ જન્મોત્સવની ઉજવણી:શહેરમાં શોભાયાત્રા નીકળી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામનવમી નિમિત્તે યોજાયેલી આ શોભાયાત્રા બોટાદના મસ્તરામજી મંદિરથી શરૂ થઈ હતી. તે દિનદયાળ ચોક, હવેલી ચોક સહિત શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. યાત્રામાં વિવિધ ફ્લોટ્સ પણ સામેલ હતા. શોભાયાત્રા પરત મસ્તરામજી મંદિરે પહોંચ્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બોટાદના સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને બજરંગ દળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ 'જય શ્રી રામ'ના નારા લગાવી ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરી હતી. બોટાદ VHPના પ્રમુખ મોન્ટુભાઈ માળીએ આ અંગે માહિતી આપી હતી. શોભાયાત્રા દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોના સંદર્ભમાં અધિકારીઓ દ્વારા અપાયેલા જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી સમીક્ષા લીધી હતી અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા મુદ્દાઓનો હકારાત્મક ઉકેલ સમયમર્યાદામાં આપવામાં આવે તે જરૂરી છે. તેમણે જિલ્લાના વિકાસકાર્યો પણ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, નેશનલ હાઈવે અને ખાણ-ખનીજ વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાની સુત્રાપાડા નગરપાલિકાએ બાળ મજૂરી નાબૂદ કરવા માટે મહત્ત્વપૂર્ણ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને શ્રમ અધિકારીના સંકલનમાં આ બાળશ્રમયોગી નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત, નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વાણિજ્યિક વિસ્તારોમાં દુકાનદારો અને વેપારીઓને બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) સુધારેલ અધિનિયમ, 2019 વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વેપારીઓને બાળ મજૂરીના કાયદાકીય પાસાઓ અને તેના ગંભીર પરિણામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જાગૃતિ વધારવા માટે, નગરપાલિકા દ્વારા વિવિધ દુકાનો અને વેપારી સંસ્થાઓમાં કાયદાની જોગવાઈઓ દર્શાવતા સ્ટિકરો લગાવવામાં આવ્યા હતા. આ સ્ટિકરો દ્વારા વેપારીઓ તેમજ સામાન્ય જનતાને બાળ મજૂરી વિરુદ્ધ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ, બાળકો પાસે મજૂરી કરાવનાર અથવા બળજબરીપૂર્વક કામ કરાવનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની સજા અને રૂપિયા 2000 સુધીનો દંડ થઈ શકે છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં બાળશ્રમયોગી નાબૂદી ટાસ્કફોર્સ દ્વારા વધુ કડક ડ્રાઈવો હાથ ધરવામાં આવશે. વિવિધ વિસ્તારોમાં તપાસ અને જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સુત્રાપાડા વિસ્તારમાં બાળ મજૂરી વિરુદ્ધ સખત સંદેશ આપવાનો અને સમાજમાં જવાબદારીની ભાવના મજબૂત કરવાનો છે.
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રતનપર બાયપાસ રોડ પર, ગણપતિ ફાટસર નજીક, પેટ્રોલ પંપની બાજુમાં આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે શરૂ થશે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ 28 માર્ચથી 2026 (શનિવાર) થી શરૂ થશે. ચૈત્ર નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા માઈભક્તો અને યાત્રાળુઓ માટે ભોજન, રહેવા અને નાહવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં સવારે 6:00 થી 9:00 વાગ્યા સુધી વણેલા ગાંઠિયા, પાપડી, ભજીયા અને ચા આપવામાં આવશે. સવારે 9:00 વાગ્યા પછી લીંબુ-વરિયાળીનું નેચરલ શરબત અને આઈસ્ક્રીમ સાંજના 6:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સાંજના 6:00 વાગ્યા પછી જે યાત્રાળુઓ જમવા ઈચ્છે તેમને ભોજન અપાશે. રાત્રે 11:00 વાગ્યા સુધી નાસ્તામાં મિક્સ ભજીયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પારડી હાઈવે પર દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ:સસ્પેન્ડેડ પોલીસ જવાનનો દીકરો સહિત 2 આરોપી પકડાયા
પારડી પોલીસે નેશનલ હાઈવે-48 પરથી વિદેશી દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં સસ્પેન્ડેડ પોલીસ જવાનના દીકરા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ ₹5.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર (DN-09-Q-7176)માં વિદેશી દારૂનો જથ્થો વલસાડ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારડી ચાર રસ્તા બ્રિજ પાસે રાજુ આમલેટની લારી સામે વોચ ગોઠવી હતી. કાર દેખાતા જ પોલીસે ટ્રાફિક ધીમો કરી કારને ઘેરી પાડી અને તેને અટકાવી લીધી હતી. કારની તલાશી લેતા ડ્રાઈવર સીટ, ક્લીનર સીટ નીચે, પાછળની સીટ અને ડેકીમાં પ્લાસ્ટિકના કોથળામાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની વ્હિસ્કી સહિત કુલ 686 નંગ બોટલ અને બિયરના ટીન જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અક્ષયભાઈ સતિષભાઈ પટેલ (મોગરાવાડી, વલસાડ) અને અભિષેક પંચાનંદ શર્મા (લક્ષ્મીનગર સોસાયટી, મોગરાવાડી, વલસાડ) નો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાંથી એક સસ્પેન્ડેડ પોલીસ જવાનનો દીકરો છે. પોલીસે કુલ ₹5,80,040 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ₹2,60,040 નો દારૂ, ₹3,00,000 ની સ્વિફ્ટ કાર અને ₹20,000 ના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ દમણની અલગ-અલગ વાઈન શોપમાંથી દારૂ ખરીદીને વલસાડમાં સપ્લાય કરવા લઈ જઈ રહ્યા હતા. પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચએ 8 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે. ભાવનગરના અલંગમાં વર્ષ 2018માં થયેલી મિત્રની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુનીલ કિશોરીપ્રસાદને મહારાષ્ટ્રના બારામતીથી દબોચી લેવાયો છે. પ્રેમ સંબંધની શંકા જેવી સામાન્ય બાબતમાં ત્રણ મિત્રોએ મળીને પોતાના જ એક મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે છેલ્લા 8 વર્ષથી પોલીસને ચકમો આપતા સુનીલ પર 10,000નું ઈનામ પણ જાહેર કરાયું હતું. પ્રેમ સંબંધની શંકા બની કાળઆ સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ 'પ્રેમ સંબંધની શંકા' હોવાનું સામે આવ્યું છે. આરોપી સુનીલ કિશોરીપ્રસાદ અને મૃતક વિનોદભાઈ રામચંદ્ર યાદવ ગાઢ મિત્રો હતા. આ શંકાના વહેમે મિત્રતામાં ઝેર ઘોળ્યું હતું. સુનીલે મનોમન નક્કી કરી લીધું હતું કે તે વિનોદનો કાંટો કાઢી નાખશે. આ માટે તેણે પોતાના અન્ય બે મિત્રો રાહુલ અને સુભાષને પણ પોતાની સાથે આ ખૌફનાક કાવતરામાં સામેલ કર્યા હતા. સુલભ શૌચાલય પાસે ઘડાયું હત્યાનું ક્રૂર કાવતરુંવર્ષ 2018માં એક રાત્રે સુનીલ, રાહુલ અને સુભાષે વિનોદ યાદવને વાતચીતના બહાને ભાવનગરના તળાજા તાલુકાના અલંગ પાસે આવેલા મણાર યાર્ડના સુલભ શૌચાલય નજીક બોલાવ્યો હતો. ચારેય મિત્રો ભેગા થયા ત્યારે અચાનક પ્રેમ સંબંધની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં ઉશ્કેરાયેલા સુનીલ અને તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ લોખંડના સળિયા કાઢ્યા હતા અને વિનોદ પર તૂટી પડ્યા હતા. વિનોદ કશું સમજે તે પહેલા જ તેના માથાના ભાગે સળિયાના ઉપરા-ઉપરી ઘા ઝીંકી તેને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ મૂકી ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બે મિત્રો જેલમાં ગયા, સુનીલ ફરારહત્યાની આ ઘટના બાદ અલંગ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટૂંક સમયમાં જ પોલીસે રાહુલ શેષનાથ મઘેસિયા અને સુભાષ રામભાઈ રાજભરની ધરપકડ કરી લીધી હતી. આ બંને આરોપીઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે પરંતુ, આ સમગ્ર હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ સુનીલ પોલીસના હાથમાં આવ્યો નહોતો. તે હત્યાના ગણતરીના કલાકોમાં જ ગુજરાત છોડીને નાસી ગયો હતો. પોલીસ તેના વતન ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં પણ ગઈ, પણ તે ત્યાં ક્યારેય દેખાયો જ નહીં. મહારાષ્ટ્રમાં પાઇપ કંપનીમાં મજૂર બનીને છુપાયોગુજરાતમાંથી ફરાર થયા બાદ સુનીલ સીધો મહારાષ્ટ્ર પહોંચ્યો હતો. પોલીસ પકડથી બચવા માટે તેણે પોતાની ઓળખ છુપાવી દીધી હતી. તેણે મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી MIDC વિસ્તારમાં આશરો લીધો હતો. અહીં તે 'ગૌરવ એન્જિનિયરિંગ' નામની એક પાઇપ બનાવતી કંપનીમાં ફિનિશિંગના કામમાં જોડાઈ ગયો હતો. પાઇપ પર ફિનિશિંગ આપવાનું કામ કરતા સુનીલને લાગ્યું હતું કે તે મજૂરોની ભીડમાં સુરક્ષિત છે અને પોલીસ ક્યારેય તેને શોધી શકશે નહીં. તે 8 વર્ષ સુધી ત્યાં સામાન્ય મજૂર તરીકે જીવન જીવતો રહ્યો. ગૌરવ એન્જિનિયરિંગ કંપનીની આસપાસ વોચ ગોઠવવામાં આવી હતીસુરત PCBની ટીમએ બાતમી મળી હતી કે, 2018ની હત્યાનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના બારામતીમાં હોઈ શકે છે. પી.આઈ. અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસની એક ટીમ વેશ પલટો કરીને બારામતી પહોંચી હતી. ત્યાં ગૌરવ એન્જિનિયરિંગ કંપનીની આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી. જેવો સુનીલ કંપનીમાંથી બહાર આવ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. અચાનક પોલીસને સામે જોઈને 8 વર્ષથી ભાગતા સુનીલના હોશ ઉડી ગયા હતા. 10,000નું ઇનામ અને ચાલાક ગુનેગારની ધરપકડઆરોપી સુનીલ એટલો સાતીર હતો કે તે પોલીસને ચકમો આપવામાં માહેર હતો. તે વારંવાર પોતાના મોબાઈલ ફોન અને સીમકાર્ડ બદલતો રહેતો હતો. તે ક્યારેય એક જગ્યાએ લાંબો સમય ટકતો નહોતો, પરંતુ બારામતીમાં તેને સ્થિર થવું ભારે પડ્યું. તેની ધરપકડ ન થતી હોવાથી ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા તેને પકડવા માટે 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત PCBની આ કામગીરીથી ભાવનગર પોલીસને પણ મોટી સફળતા મળી છે અને એક લાંબા સમયથી અટવાયેલા કેસનો અંત આવ્યો છે.
ઇસ્કોન હરે કૃષ્ણ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગુરુવાર, ૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદમાં શ્રી રામનવમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રી રામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણ સાંભળીને તેમનું સ્મરણ કર્યું હતું. ઉત્સવના વિશેષ ભાગરૂપે, કેન્દ્રમાં અતિ સુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શ્રી સીતા રામને ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાન શ્રી રામના પવિત્ર નામનું ગાન કરતા સંકીર્તન અને પ્રાર્થના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, સૌ ભક્તોએ શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ (૧૦૮ નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ સાથે શ્રી રામ તારક યજ્ઞ કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ શ્રી નામ રામાયણ નું ગાન કર્યું હતું, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે. રામનવમી ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવનાર બધા દર્શનાર્થીઓ માટે અન્નદાન ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંદિર દ્વારા નિયમિત ઉત્સવો દરમિયાન આ અન્નદાન કાર્યક્રમ કરવામાં આવે છે. આ ભવ્ય મહોત્સવે આધ્યાત્મિક એકતા અને વૈશ્વિક સૌહાર્દનો શક્તિશાળી સંદેશ પ્રસારિત કર્યો હતો.
ગબ્બર માતાજીના ઝૂલા પર અન્નકૂટ ધરાવાયો:ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મુંબઈના જસાણી પરિવારે અર્પણ કર્યો
ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ગબ્બર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ઉદય જસાણી પરિવાર દ્વારા ગબ્બર માતાજીના ઝૂલા ઉપર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, વ્યંજનો અને ફળો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી. હાલમાં ચૈત્રી નવરાત્રિ પર્વ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ગબ્બર આવી રહ્યા છે. ઘણા ભક્તો મા અંબાના મૂળ સ્થાનક ગબ્બર ખાતે અન્નકૂટ ધરાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ચૈત્રી પર્વ ચૈત્ર મહિનાની પૂનમ સુધી ઉજવવામાં આવે છે, જે દરમિયાન ભક્તોની ભીડ જોવા મળે છે.
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૨૬ માર્ચના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનકવન પર લાઇવ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર ૧૧ વર્ષની ઉંમરે ૭ વર્ષ સુધી ઉઘાડા પગે ૧૨,૦૦૦ કિલોમીટરનું વિચરણ કર્યું હતું. તેમણે બદરીનાથમાં ૬ મહિના સુધી ખુલ્લા શરીરે તપ કર્યું હતું. આ તપશ્ચર્યા દર્શાવે છે કે તેઓ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. માત્ર ૨૫ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ૩,૦૦૦થી વધુ સંતો, અનેક હરિભક્તો અને મંદિરોની સ્થાપના કરી હતી. તેમણે અનેક શાસ્ત્રોની રચના પણ કરાવી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે શિક્ષાપત્રી આદિ ધર્મગ્રંથોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરીને જીવનને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. યુવાનોએ ખાસ કરીને દરેક પ્રકારના વ્યસનો અને કુસંગથી દૂર રહેવું જોઈએ, કારણ કે કુટેવો પહેલા માણસને આકર્ષે છે અને પછી તેને પતન તરફ ધકેલે છે. જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. તેમણે આર્થિક વ્યવસ્થા અંગે પણ સલાહ આપી હતી કે, આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. વટ પાડવા માટે દેવું કરનારાઓને પાછળથી દેવાળું કાઢવાનો વારો આવે છે, જે આત્મહત્યા જેવા ગંભીર આર્થિક પ્રશ્નોનું કારણ બની શકે છે. જીવનમાં સુખી થવા માટે સદાચાર, સાદગી અને સંતોષ જેવા ગુણો કેળવવા અત્યંત આવશ્યક છે. આ પોડકાસ્ટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે એલ.જી. હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશભાઈ માડોલે, ડો. અનિલભાઈ રાજપૂત અને શ્રી કૃતિનભાઈ યુદ્ધ પણ ઉપસ્થિત રહી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ચંદ્રુમાણામાં જોગણી માતાની ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ:ચૈત્રી નવરાત્રીની આઠમે વર્ષોની પરંપરા જળવાઈ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગુરુવારે ચૈત્ર સુદ આઠમની રાત્રે શ્રી જોગણી માતાની પરંપરાગત ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રાનો પ્રારંભ ગામના આથમણા ઠાકોરવાસમાં આવેલા શ્રી હિંગળાજ માતાના મંદિરેથી થયો હતો. અહીં માતાજીના ઉપાસક હિંગળાજભાઈ ઠાકોર દ્વારા પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ દિવાનજી ઠાકોર, જયંતીજી ઠાકોર અને અન્ય સેવકોએ સગડીઓ પ્રજ્વલિત કરી હતી. ઢોલ-નગારાના નાદ વચ્ચે હિંગળાજભાઈ જોગણી માતાના વસ્ત્રોમાં સજ્જ થઈને ગામ વચ્ચેથી પસાર થયા હતા. યાત્રા દરમિયાન રસ્તામાં આવતા દરેક માર્ગો અને દેવસ્થાનો તરફ જ્યોત ફેરવવામાં આવી હતી. અંતે, આ જ્યોત યાત્રા જોગણી માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં જ્યોતનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ચંદ્રુમાણા ગામમાં વર્ષોથી આ ખપ્પર જ્યોત યાત્રાની પરંપરા જાળવવામાં આવી રહી છે. અગાઉ માઈભક્ત કરસનભાઈ ભગત આ સગડી ઉપાડતા હતા. તેમના અવસાન બાદ તેમના પુત્ર હિંગળાજ ઠાકોર આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ જ્યોત યાત્રાના દર્શન કરવા માટે પાટણ સહિત બહારગામથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. ગ્રામજનોમાં ઉગમણા ગામ ઝાંપાની શ્રી જોગણી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી છે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી કિમતી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી બેઠેલા “સિટી લાઈટ” પાર્ટી પ્લોટના સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2023થી આજ દિવસ સુધી વારંવાર આપવામાં આવેલ નોટિસોને અવગણી દબાણ ન હટાવતા આખરે જિલ્લા કલેક્ટરના આદેશથી મામલતદારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના મવડીના સર્વે નંબર 194 પૈકીની સરકારી જમીન પર 'સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ બનાવી વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનાર સંચાલક ગોરધન ઉકાભાઈ મેઘાણી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 (લેન્ડ ગ્રેબિગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેર દક્ષિણના મામલતદાર રાજેન્દ્રસિહ સરવૈયાએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મવડી વિસ્તારની સરકારી જમીન પર ગોરધન મેઘાણીએ મકાન, ઓફિસ, પાણીનો મોટો ટાંકો, ઈલેક્ટ્રિક રૂમ અને ફેન્સિંગ બનાવીને ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ શરૂ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. દબાણ અંગે અગાઉ મામલતદાર દ્વારા દબાણ હટાવવા નોટિસ પાઠવવામાં આવી હતી જો કે વર્ષ 2023થી આજ દિવસ સુધી નોટિસ અંગે કોઈ ખુલાસો કે પુરાવા રજૂ ન કર્યા ન હતા. એટલું જ નહિ સપ્ટેમ્બર 2024માં સંચાલકના પુત્રએ દબાણ જાતે હટાવી લેવાની ખાતરી આપી હતી ત્યારબાદ તલાટીના રિપોર્ટમાં સામે આવ્યું કે માત્ર થોડી ફેન્સિંગ હટાવી બાકીનું દબાણ યથાવત રાખી વ્યાપારી ઉપયોગ ચાલુ રાખ્યો હતો. તંત્ર દ્વારા 16.10.2024 થી 19.01.2026 સુધીમાં કુલ 5 વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો ન હતો. સરકારી જમીનનો ધંધાદારી ઉપયોગ ચાલુ રાખતા આ મામલો જીલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં તમામ પુરાવાઓ તપાસ્યા બાદ મામલતદારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 93 જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરકારી જમીન ઉપર આરોપી ગોરધન મેઘાણી દ્વારા પાર્ટી પ્લોટ, ઓફિસ, પાણીનો મોટો ટાંકો તેમજ ઈલેક્ટ્રીક રૂમ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી હતી. ત્યારે હાલ તંત્ર દ્વારા 5500 ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરાવી અંદાજિત 3.85 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણકર્તા પાસેથી આંચકી લેવામાં આવી છે.
ગોધરામાં ગેસ સિલિન્ડરની સંભવિત અછત વચ્ચે પણ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા તેની ભોજન સેવા અવિરત ચાલુ રાખવામાં આવી છે. આ ટ્રસ્ટ ગોધરાની સિવિલ (સરકારી) હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓ અને તેમના સગાઓને દરરોજ ભોજન પૂરું પાડે છે. ટ્રસ્ટ દ્વારા દરરોજ અંદાજે 150 થી 200 જેટલા લોકોને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. આ સેવા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વપૂર્ણ ટેકો પૂરો પાડે છે. હાલમાં ગેસ સિલિન્ડરની અછત જેવી પડકારજનક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. તેમ છતાં, ટ્રસ્ટના સંચાલકો અને સ્વયંસેવકોએ તેમની સેવા અટકાવી નથી. આ મુશ્કેલ સમયમાં પણ ટ્રસ્ટની આ પ્રતિબદ્ધતા સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવે છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાઓ અને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જોની નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય સંગઠનના વ્યાપને વિસ્તૃત કરવા તેમજ રાજ્યભરમાં પાર્ટીની કામગીરીને વધુ ગતિ આપવા માટે લેવાયો હોવાનું માનવામાં આવે છે. સાત નેતાને પ્રદેશ સહ પ્રવક્તાની જવાબદારી મળી જાહેર કરાયેલા નામોમાં વલસાડમાં ધવલ પટેલ (સાંસદ), અમદાવાદમાં અશ્વિન બેન્કર, મહેસાણામાં જયરાજસિંહ પરમાર, અમદાવાદ જિલ્લાના ધનશ્યામ ગઢવી, કચ્છમાં મનજી આહીર, સુરત શહેરમાં હેમાલીબેન બોઘાવાલા તેમજ અમદાવાદમાં શ્વેતાબેન બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓને પ્રદેશ સહ પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત મીડિયા ક્ષેત્રને મજબૂત કરવા માટે અમદાવાદના ઝૂબીન આશરા અને ગાંધીનગર શહેરના કલ્પ પટેલને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક આગામી ચૂંટણી માટે મહત્ત્વનીભાજપ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકને આગામી ચૂંટણી અને સંગઠન વિસ્તરણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવા નિયુક્ત થયેલા હોદ્દેદારો પાર્ટીના વિચારો અને નીતિઓને જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ દાઝી ગયો છે. શહેરના સહકાર મેઈન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સનો સામાન પડ્યો હતો. જ્યાં 40 જેટલા ગેસના બાટલા પડ્યા હતા. જેમાંથી 2 બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે 20 વર્ષનો યુવાન દાઝી ગયો હતો. આ દરમિયાન બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતા જોકે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયાનું ફાયર બ્રિગેડ વિભાગનું અનુમાન છે. જોકે, મકાન માલિકના કહેવા પ્રમાણે પાણી ગરમ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો છે. જોકે, હાલ ફાયર બ્રિગેડ દ્વારા અહીં રહેણાંક મકાનમાંથી ગેસના બાટલા અને ડીઝલના કેરબા સહિતનો સ્ટોરેજ ખાલી કરી BU પરમિશન સહિતના માન્યતા ડોક્યુમેન્ટ આપવા મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પાર્કિંગમા 40 સિલિન્ડર અને ડીઝલના 5 કેરબા પણ પડ્યા હતારાજકોટ ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ, 27 માર્ચના બપોરે 12.55 વાગ્યે સહકાર મેઈન રોડ ઉપર સાધના સોસાયટી શેરી નંબર 2/5 ના ખૂણે રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડી સાથે ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બૂઝાવી નાખી હતી. આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટમાં (G+2) બિલ્ડીંગમાં નીચે પાર્કિંગમા અંદાજે 40 જેટલા ભરેલા LPG સીલીન્ડર તેમજ અંદાજે ડીઝલના 5 કેરબા તેમજ કેટરર્સ સામગ્રીનો જથ્થો હતો. આ ઉપરાંત કાર, એકટીવા, વાસપા પડેલું હતુ. પાણી ગરમ કરતા આગ લાગી હતીજેમાં 2 LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતા. જોકે ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા રહેવાશીઓ તેમજ આજુબાજુ વિસ્તારનાં લોકોની જાનહાનિ થતા અટકી હતી. આગમાં 20 વર્ષીય મોહિતભાઈ ગોહિલ દાઝી ગયા હતા. મકાન માલિક અશોકભાઈ રૈયાણીનાં જણાવેલ મુજબ પાણી ગરમ કરતા આગ લાગી હતી પરંતુ ઘટના સ્થળે LPG સિલિન્ડરનો ગેસ ટ્રાન્સફર કરવાની ઈલેક્ટ્રીક મોટર જોવા મળી હતી. આગને કારણે ચોક્કસ નુકસાનીનો આકડો જાણવા મળ્યો નથી. જોકે આગની ઘટના બનતા મકાન માલિકને રહેણાંક મકાનમાંથી તમામ સામગ્રીનો સ્ટોરેજ ખાલી કરવા અને તમામનાં માન્યતા ડોક્યુમેન્ટ, BU પરમિશન સર્ટીફીકેટ અને મંજુર પ્લાન ફાયર સ્ટેશને રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આગની ઘટના બનતા ભક્તિનગર પી.આઈ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે 14.55 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે બે મિત્રોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સુરતના વરાછા અને સરથાણા વિસ્તારના વેપારીઓ છે, જેમણે માત્ર 1થી 2 ટકા કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને વેચ્યા હતા. 'Prospera X' એપ્લિકેશન દ્વારા જાળ બિછાવીફરિયાદીને સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી 'Prospera X' નામની ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરવા લલચાવવામાં આવ્યા હતા. ઠગોએ એવી ખાતરી આપી હતી કે આ એપ્લિકેશન દ્વારા સ્ટોક ટ્રેડિંગ અને IPOમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં મોટો નફો થશે. ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ 14,55,000નું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં નફો તો દેખાતો હતો પરંતુ, જ્યારે રૂપિયા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેક્સ અને અન્ય ચાર્જના નામે વધુ પૈસાની માંગણી કરવામાં આવતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો. મિત્રની દુકાને બેસીને જ ઘડાયો આખો ખેલપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ, રાજેશ રૂડાણી અને પ્રફુલ માંડણકા, ગાઢ મિત્રો છે. પ્રફુલભાઈની સુરતમાં પોતાની દુકાન છે અને રાજેશ પણ ત્યાં જ બેસતો હતો. બંને વેપાર સાથે જોડાયેલા હોવા છતાં રાતોરાત રૂપિયા કમાવવાની લાલચે આ ગુનાહિત માર્ગ અપનાવ્યો હતો. આ બંને મિત્રોએ સાયબર માફિયાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પોતાના અને અન્યના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. એકાઉન્ટમાંથી 1.12 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યાઝડપાયેલા આરોપી રાજેશ રૂડાણીના નામે ખોલાવવામાં આવેલા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એકાઉન્ટની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં કુલ 1.12 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ફરિયાદીના 1.05 લાખ પણ સીધા આ જ એકાઉન્ટમાં જમા થયા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર સેલે આ બંને કમિશન એજન્ટો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. દેશભરમાં 14 ફરિયાદો સાથે છેડા જોડાયાનેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતા માલૂમ પડ્યું કે રાજેશ રૂડાણીના આ એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 14 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ આખા નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1.79 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ માત્ર એક એકાઉન્ટનો આંકડો છે, જે સાયબર ક્રાઇમની ભયાનકતા દર્શાવે છે. બે મિત્રો સાયબર ફ્રોડની ચેઈનમાં 'લેયર વન' ના આરોપી તરીકે કામ કરતાઆરોપીઓની પૂછપરછમાં કમિશનના ખેલનો પર્દાફાશ થયો છે. રાજેશ રૂડાણી 1 ટકા કમિશન મેળવીને પોતાના એકાઉન્ટની વિગતો પ્રફુલને આપતો હતો. પ્રફુલ આ વિગતો આગળ હિરેન સુચિત્રા નામના શખ્સને 1.5 ટકા કમિશન પર આપતો હતો. ત્યારબાદ હિરેન આ એકાઉન્ટ્સ દિલ્હીમાં બેઠેલા સાયબર ઠગોને મોકલી આપતો હતો. આમ, સુરતના આ બે મિત્રો સાયબર ફ્રોડની ચેઈનમાં 'લેયર વન' ના આરોપી તરીકે કામ કરતા હતા. સાયબર પોલીસની નાગરિકોને અપીલસુરત સાયબર ક્રાઇમ સેલે આ મામલે ગુનો નોંધી હિરેન સુચિત્રા નામના ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે, કોઈપણ અજાણી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં કે લાલચમાં આવીને અજાણ્યા બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા નહીં. તેમજ નજીવા કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ કે દસ્તાવેજો ભાડે આપવા એ કાયદેસરનો ગુનો છે અને તેમાં જેલની સજા થઈ શકે છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના કાલવણ અને વડાલી તાલુકાના કેસરગંજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ કુલ 31 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આવા રક્તદાન અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યા છે. આ કેમ્પો દ્વારા એકત્રિત ગુણવત્તાસભર રક્ત તાત્કાલિક તબીબી પરિસ્થિતિઓ, પ્રસૂતિ દરમિયાનની જટિલતાઓ અને ગંભીર સર્જરી સમયે દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થાય છે. આ અભિયાનમાં હિંમતનગર સ્થિત GMERS મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ અને બ્લડ બેન્ક તેમજ જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગરનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ સફળ આયોજનથી જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સલામત રક્ત ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા વધુ મજબૂત બની છે. જિલ્લા આરોગ્ય વિભાગે દાતાઓના સેવાભાવને બિરદાવતા જણાવ્યું કે, રક્તદાન માનવજાત પ્રત્યેનું સર્વોત્તમ દાન છે, જે કોઈને જીવનદાન આપી શકે છે.
શહેરા પાસે રિક્ષા-ટ્રેક્ટર અકસ્માત:એક વૃદ્ધ સહિત ચાર મુસાફર ઈજાગ્રસ્ત; સારવાર માટે ખસેડાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આંગરીયા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેક્ટરે છકડા રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર એક વૃદ્ધ સહિત ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આંગરીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી છકડા રિક્ષાને પાછળથી આવી રહેલા ટ્રેક્ટરે ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો ઈજાગ્રસ્તોની મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેક્ટરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5 દિવસની તાલીમ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ તાલીમમાં ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ 5 દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ શિક્ષકો આવ્યા હતા જેમાં ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે, જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી છે આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનગર ના કલેકટર જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.મનીષ બંસલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું શિક્ષણમાં મહત્વ સમજાવ્યું અને ભાગ લીધેલ શિક્ષકો નો ઉત્સાહ વધાર્યો હતો, તથા અતિથિ વિશેષ તરીકે ડો. કન્નન શ્રીનિવાસન, પૂર્વ ડાયરેક્ટર, CSMCRI ઉપસ્થિત રહ્યા હતા, આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, DAIICT ગાંધીનગર, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારશે અને AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરી શકે છે આ કાર્યોમાં શિક્ષણ, તર્ક, સમસ્યાનું નિરાકરણ, ધારણા, ડેટા બનાવવો અને ભાષાની સમજ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે, AI નું ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં આજે શિક્ષણમાં સૌથી મોટા પડકારોનો સામનો કરવાની, શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓમાં નવીનતા લાવવાની અને પ્રગતિને વેગ આપવાની ક્ષમતા છે, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું, આ અંગે કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે, તો આપણે પણ અપડેટ રહેવું ખુબ જ જરૂરી છે અને ખાસ કરીને જે શિક્ષક જગત સાથે સંકળાયેલા જે લોકો છે તેના માટે તો ખાસ જરૂરી છે તો એના માટે રીજીનયલ સાયન્સ સેન્ટર ભાવનગર ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી પાંચ દિવસનું આ કોન્ફરન્સ AI ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર શિક્ષકો માટે રાખ્યું છે અને જેમાં આખા ગુજરાતમાંથી શિક્ષકો અહીં આવ્યા છે, પોતાના જીવનમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ આ પણ અને સાથે સાથે એની સાથે જેટલા પણ બાળકો જોડાયેલા છે, જેટલા એના સાથી શિક્ષકો છે, જે પરિવારના લોકો છે, જે બીજા ભાઈ બંધો છે તેને પણ શીખવાડશે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI થી ગભરાવાની કોઈ જરૂર નથી. એને આપણે સારી રીતે કેવી રીતે વાપરી શકીએ આ આપણે શીખવાનું છે અને કંટીન્યુઅસ અપડેટ રહીને જે ટેકનોલોજી છે, જે વિજ્ઞાન છે તેનો ઉપયોગ જીવનમાં આપણે કરવાનો છે.
શહેરના સાયન્સ સીટી રોડ પર જાહેરાતના બોર્ડ દેખાય તેના માટે ડિવાઈડરની વચ્ચે લગાવેલા વૃક્ષો કાપી નાખવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા મંજૂરી વિના ઝાડ કાપવા બદલ KICT કોમ્પ્યુટર એજ્યુકેશન નામના ક્લાસીસના સંચાલકને નોટિસ ફટકારી છે. 2000 વહીવટી ચાર્જ અને 120 જેટલા વૃક્ષ ઉગાડી તેની માવજત કરવાની 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી અથવા વૃક્ષો ઉગાડી અને તેના માવજત પેટે 3.24 લાખ રૂપિયા ભરવા માટે જાણ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી વિના ઝાડ કાપી નાખવામાં આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનની મંજૂરી લીધા વિના વૃક્ષ કાપી નાખ્યા હોવાનું સામે આવ્યુંશહેરના સાયન્સ સિટી રોડ ઉપર અનેક વૃક્ષો આવેલા છે. રોડ પર ડિવાઇડરની વચ્ચે ઘટાદાર વૃક્ષો આવેલા હોવાના કારણે કારણે આ વિસ્તારમાં ઠંડક પણ રહે છે. જોકે, કેટલાક લોકો પોતાના ફાયદા માટે લીલાછમ વૃક્ષો કાપી નાખતા હોય છે. મ્યુ. કોર્પોરેશનના ગોતા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુધી જાણકારી આવી હતી કે, સાયન્સ સીટી રોડ પર અઝોન સોલિસિટર ખાતે આવેલા KICT કોમ્પ્યુટર એજ્યુકેશનના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી લીધા વિના ઉપરના ભાગેથી રાતોરાત કાપી નાખવામાં આવ્યા છે. જે બાબતે તપાસ કરતા તેમના દ્વારા આ ઝાડ કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. 12 વૃક્ષો ઉગાડી તેની માવજત અને સાર-સંભાળ રાખવાની બાંહેધરી આપવાની રહેશે પર્યાવરણને કરવામાં આવેલા નુકશાનીનાં વળતર પેટે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ પ્રતિ વૃક્ષ દીઠ 1000 દંડ+ 1000 વહીવટી ચાર્જ તથા એક વૃક્ષનાં બદલામાં બીજા 10 ગણા (8થી 10 ફુટનાં) એટલે 12 વૃક્ષ સામે બીજા 12 વૃક્ષો ઉગાડી તેની માવજત અને સાર સંભાળ રાખવાની રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી આપવાની રહેશે અથવા 1 નંગ વૃક્ષની સામે નવા 10 વૃક્ષો ઉછેરવા માટે પ્રતિ વર્ષ રૂ. 2500 થવા પાત્ર ખર્ચ પેટે પ્રતિ વૃક્ષ રૂ. 2500 X 120 વૃક્ષના રૂ. 3 લાખ + 12 વૃક્ષનાં રૂ. 24000 (વહીવટી ચાર્જ અને દંડ) મળીને કુલ રૂ.3.24 લાખ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા માટેની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં પરપ્રાંતિય મહિલાની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા ગુનાની કડીઓ જોડવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાની ઓળખ મૂળ મથુરાની વતની 40 વર્ષીય રીન્કી દેવી બન્ટુસિંહ કઠેરીયા તરીકે થઈ છે. તેણીનો મૃતદેહ ગળે ટૂંપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહિતના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચની ધરપકડ કરી છે. વિજયે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે, વર્ષ 2021માં રીન્કી દેવી વિધવા બન્યા પછી, તેના પુત્ર રોહિતની મિત્રતાના કારણે તે રીન્કીદેવીના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા ચારેક વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા. રીન્કી દેવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી અને પૈસા ન આપવા બદલ પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપતી હતી. આનાથી કંટાળીને વિજયે 23મી તારીખે રાત્રિના સમયે રીન્કી દેવીને પોતાના કાકાના ઘેર લઈ જઈ લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. જે બાદ રીન્કી દેવીના મૃતદેહને કોથળામાં નાખીને સંતાડી રાખ્યો હતો, તેમજ પોતે પોલીસની સાથે મહિલાને શોધવાનું નાટક પણ કરતો હતો. પરંતુ દુર્ગંધ આવ્યા બાદ મામલો સામે આવી જતાં આખરે તેણે હત્યા કર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેને હાલ ઝડપી પાડ્યો છે. તેમજ રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજના NSS યુનિટ દ્વારા આણંદ જિલ્લાના વાસદ ગામ ખાતે 13 થી 19 માર્ચ 2026 દરમિયાન સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરાયું હતું. સામાજિક જાગૃતિ અને ગ્રામ વિકાસના હેતુ સાથે યોજાયેલા આ શિબિરનું ઉદ્ઘાટન 14 માર્ચના રોજ સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ પૂનમભાઈ પરમાર સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન ગ્રામજનો માટે વિવિધ આરોગ્ય તપાસ કેમ્પ યોજાયા હતા. જેમાં 136 લોકોએ ફૂલ બોડી ચેક-અપ અને ૧૫૧ લોકોએ કાન-આંખની તપાસનો લાભ લીધો હતો. આ તપાસમાં 4 મફત મોતિયાના ઓપરેશનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુપોષણ અને ક્ષય રોગ અંગે જાગૃતિ ફેલાવી મફત ટીબી કીટનું વિતરણ પણ કરાયું હતું. ગામની દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 166 છોકરીઓએ ભાગ લીધો હતો. શિબિરના વિવિધ સત્રોમાં સાયબર સુરક્ષા, પર્યાવરણ જાગૃતિ માટે પેપર બેગ નિર્માણ અને રોજગારી લક્ષી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવાની વર્કશોપ પણ યોજાઈ હતી. સ્વયંસેવકો દ્વારા બેટી બચાવો, વ્યસનમુક્તિ અને પાણી બચાવો જેવા વિષયો પર જાગૃતિ રેલીઓ અને શેરી નાટકો યોજી ગ્રામજનોને જાગૃત કરાયા હતા. શિબિરના અંતે સ્વયંસેવકોએ ગામના મુખ્ય પ્રશ્નોનો અહેવાલ તૈયાર કરી ગ્રામ પંચાયતને સુપરત કર્યો હતો. આચાર્ય ડૉ. પ્રીતિ લુહાણા અને NSS સંયોજકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેને ચારુતર વિદ્યામંડળના હોદ્દેદારોએ બિરદાવ્યો હતો.

31 C