જ્ઞાનમંજરી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો:રાજકીય અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ભાવનગરની સુપ્રસિદ્ધ જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાયો. આ સ્કૂલ હવે વેરાવળમાં પણ શરૂ થઈ છે. વેરાવળ-જૂનાગઢ હાઈવે રોડ પર આવેલા ડારી વાયરલેસ કેમ્પ પાસે જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલની નવી શાખા કાર્યરત થઈ છે. આ પ્રસંગે સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવનું દીપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી ઝવેરીભાઈ ઠકરારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જયકરભાઈ ચોટાઈ, બિંદુબેન ચંદ્રાણી, મીનાબેન ચોટાઈ સહિત શિક્ષણ જગતના અનેક કોલેજ તથા સ્કૂલના આચાર્યો, અધ્યાપકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સામાજિક, રાજકીય અગ્રણીઓ અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ગ્રામજનોનો સરપંચ પર હુમલો:પાણવી ગામના વૃદ્ધા સરપંચને બે મહિલા સહિત 4 શખ્સોએ મારમાર્યો
વલભીપુરના પાણવી ગામના વૃદ્ધા સરપંચના ઘરે બે મહિલા સહિત 4 ગ્રામજનો મનરેગા તેમજ પાણીના પ્રશ્ને રજુઆત માટે આવ્યા હતા. જે રજુઆતના પ્રશ્નોનો સંતોષકારક જવાબ નહીં મળતા બે મહિલા સહિત ચારેય શખ્સોએ દલીત વૃદ્ધા સરપંચના ઘરેથી ઢસડી, જ્ઞાતીથી અપમાનીત કરી, ગાળો આપી મારમારી ફરાર થઇ જતાં પાણીવી ગામના વૃદ્ધા સરપંચે ચારેય શખ્સો વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલભીપુરના પાણવી ગામે રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા ગૌરીબેન ભીખાભાઇ મકવાણા (ઉ.વ.70) પોતાના ઘરે હતા. તે દરમિયાન મંજુરભાઇ ગુલાબભાઇ માંકડ અને હંસાબેન બાવદીનભાઇ માંકડ બંન્ને મનરેગા યોજનાનું કામ ક્યારે શરૂ થશે તેમ ગૌરીબેનને પૂછવા આવેલા હતા. જેનો ગૌરીબેને બોડીને પૂછીને જવાબ આપશું તેમ કહેતા બંન્ને શખ્સોએ જ્ઞાતીથી અપમાનીત કરી, ગાળો આપી જતા રહેલ હતા. જે બાદ પાણવી ગામમાં રહેતા જતિનભાઇ નાગરભાઇ કુવારીયા અને મીનાબેન પ્રવિણભાઇ કુવારીયા પણ તેમના ઘરે આવેલા અને પાણી નથી આવતું તેવા પ્રશ્ને સંતોષકારક જવાબ નહીં મળતા મંજુરભાઇ ગુલાબભાઇ માંકડ, હંસાબેન બાવદીનભાઇ માંકડ, જતિનભાઇ નાગરભાઇ કુવાડીયા, મીનાબેન પ્રવિણભાઇ કુવારીયા વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ગૌરીબેને એટ્રોસીટી સહિતની કલમોની ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરના ફરીયાદકા ગામે રહેતા એક યુવક તેમની કાર રિપેરીંગ કરીને ઘરે પરત ફરતા હતા. જે દરમિયાન તેમના ભત્રીજાએ કાર થોભાવી, ચાલીસ હજાર પરત આપવા બાબતે કાકા સાથે બોલાચાલી કરી, પાછળથી મોટર સાયકલ લઇને આવેલા બે બુકાનીધારી સહિત ચારેય શખ્સોએ કાર ઉપર ધોકાના ઘા ઝીંકી, નુકશાન કરી, ભત્રીજાએ ત્રણ શખ્સો સાથે એકસંપ કરી, કાકા ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં યુવકે તેમના ભત્રીજા સહિત ચાર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના ફરિયાદકા ગામે પીપળા વાળા ચોક ખાતે રહેતા સંજયભાઇ વજુભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા તથા અજયભાઇ સહિત ત્રણેય લોકો વેગનઆર કાર લઇને ખોડિયાર મંદિર પાસે રિપેરીંગ કરવા ગયા હતા. બાદમાં કાર લઇને ઘરે પરત ફરતા હતા તે વેળાએ તેમના ભત્રીજા ભૌતિક પપ્પુભાઇ મકવાણાએ સંજયભાઇને ફોન કરીને ચાલીસ હજાર રૂપિયા પરત આપવા વાત કરવા બાબતે નવાગામ પાસે કારને થોભાવી રાખવાનું કિધું હતું. જે બાદ ભૌતિક મકવાણા અને અશ્વિન મનસુખભાઇ બંન્ને બાઇક ઉપર આવી સંજયભાઇ પાસેથી લીધેલા ચાલીસ હજાર રૂપિયા પરત આપવા બાબતે વાતચીત કર્યા બાદ બોલાચાલી કરી હતી. બાઇકમાં આવેલા અન્ય બે અજાણ્યા શખ્સો મળી ચારેય શખ્સોએ સંજયભાઇની કાર ઉપર ધોકાના ઘા ઝીંકી, આગળ તેમજ પાછળના કાચ તોડી નાંખ્યા હતા અને સંજયભાઇ ઉપર હુમલો કરી, ગંભીર મારમારી ફરાર થઇ જતાં સંજયભાઇને સારવાર માટે ખસેડાયા હતા. સારવારમાં રહેલા સંજયભાઇ મકવાણાએ તેમના ભત્રીજાા ભૌતિક પપ્પુભાઇ મકવાણા, અશ્વિન મનસુખભાઇ તેમજ બીજા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ખેડૂતોનું આક્રંદ:જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત
ગુરૂવારે સાંજના સમયે વાવાઝોડા સાથે માવઠાથી જિલ્લા ભરમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકશાન થયુ હતુ. ખાસ કરીને ઘઉં, બાજરો અને જુવારનો પાક ઢળી પડયો હતો. ગારિયાધાર તાલુકામાં ગુરૂવારે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવનની ગતિ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો હોય તેમ ખૂબ જ તૈયાર પાકોને નુકશાન થયું છે.ડમરાળા,રૂપાવટી, સાળંગપુર, સમઢિયાળા સહિતના ગામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ઘઉં,ચણા,જીરૂ ,ઘાસચારો સહિતના રવિપાકોને ભારે નુકશાન પહોંચ્યું છે.હજુ તો દિવાળી પર કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ સહિતના પાકોને નુકશાન થયું હતું ત્યારે હવે રવિ પાકો ઘઉં જીરૂ,ચણા ,સહિતના પાકોને ભારે નુકશાન થયું છે.કેરી સહિતના પાકોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.ખેડૂતો ચિંતિત થયા છે.ખેતરમાં તૈયાર થયેલો પાકનો સોથ વળી ગયો છે. વલભીપુર પંથકમાં ભારે પવનના વંટોળ ગાજવીજ સાથે પડેલા માવઠાના કારણે માત્ર ખેત ઉત્પાદનને નહી પરંતુ ઈંટો પકવતા ભઠ્ઠાવાળાઓ, લાલ મરચા તેમજ અન્ય મરી મસાલાઓના વેપારીઓને પણ માવઠાનો માર સહન કરવાની નોબત આવી છે. જુવારને ખૂબ જ નુકશાન થયુંગુરૂવારે પડેલા ભારે પવન સાથે વરસાદથી જુવારને ખૂબ જ નુકશાન થયું છે. ઘાસચારો આડો પડી ગયો છે.હવે અમારે માલઢોર રાખવા કે નહી તે ખબર પડતી નથી.ખેડૂતોને ચારેકોર નુકશાન થયું છે.હવે આ નુકસાનીનું કરવું શું - ઘનશ્યામભાઈ સભાડિયા, ખેડૂત સારીંગપુર (તા.ગારિયાધાર) ઘઉં,બાજરો અને ઘાસચારો આડો પડી ગયોમાવઠાથી અમારે આઠ વીઘાના ઘઉં,પાંચ વિઘાનો બાજરો તેમજ ઘાસચારો આડો પડી ગયો છે. ખૂબજ નુકશાન થયું છે.સરકાર આ નુકશાન થયું તેનું વળતર આપે તેવી અમારી માંગણી છે. - પ્રદીપભાઈ પરમાર, ખેડૂત, સમઢિયાળા (તા.ગારિયાધાર)
ધીંગાણુ:ગાળો બોલતા બે ભાઇઓને ટપારતા 16 શખ્સોએ ધીંગાણુ સર્જયુ
ભાવનગરના ચાવડી ગેટ પોલીસ ચોકી નજીક રહેતા બે ભાઇઓ મામાના મંદિર નજીક સરાજાહેર ઝઘડો કરી, ગાળો બોલતા હતા. જે દરમિયાન ગાળો બોલવાની ના પાડી, ટપાર્યા હતા. જે મામલે 16 શખ્સો વચ્ચે ધીંગાણું સર્જાતા સામસામી ફરિયાદ નોંધાવાઈ હતી. શહેરમાં અલકા ગેઇટ પોલીસ ચોકીની બાજુમાં રહેતા વિજય મુળજીભાઇ દેગામા તેમના પરિવારના નવ સભ્યો ચાવડીગેટ વિસ્તારમાં મામાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં મંદિરની નજીક રહેતા રાકેશ ચુડાસમા અને અજય ચુડાસમા બંન્ને સગા ભાઇઓ ઝઘડો કરી, ગાળો બોલતા હતા. જેને લઇને વિજયભાઇએ ગાળો બોલવાની ના પાડી, ટપાર્યા હતા. ટપારવા બાબતે દાઝ રાખી બંન્ને ભાઇઓ સહિત નવ શખ્સોએ હથિયારો સાથે આવી વિજયભાઇના પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો. જ્યારે ચંદાબેન રાકેશભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિજયભાઇ સહિતના આઠ શખ્સોએ પણ હથિયારો સાથે આવી વળતો હુમલો કરતા બંન્ને પક્ષે છથી સાત લોકોને સામસામી ગંભીર ઇજા થતાં સારવારમાં ખશેડાયા હતા. જ્યાં વિજયભાઇએ રાકેશ ચુડાસમા, પરબત, પ્રતાપ, રોહીત, અલ્પેશ, અજય, સાહીલ, છોટું અને બાલા વિરૂદ્ધ અને ચંદાબેને બુધા દેગામા, અમીત ડાભી, રાજુ ડાભી, બલભદ્રસિંહ ગહિલ, અક્ષય દેગામા, રમેશ, મુકેશ અને વિજય દેગામા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી કરવામાં આવશે
ભાવનગર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની 11,127 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો 15 મેથી 14 જૂન 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ-2 માં ₹19,900 ના બેઝિક પગાર ઉપરાંત નિયમ મુજબના ભથ્થાં મળી કુલ ₹35,000 થી વધુ માસિક વેતન મળવાપાત્ર થશે. અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જુદા જુદા પાંચ તબક્કા બાદ ઉમેદવારની પસંદગી કરાશે જેમાં ગણિત, માનસિક ક્ષમતા, અને જીકેની પ્રાથમિક સ્ક્રિનિંગ ટેસ્ટ, બે ભાગમાં પરીક્ષા લેવાશે. પાર્ટ-એ મેરિટ અને પાર્ટ-બી સંબંધિત ટ્રેડના જ્ઞાનની ટેસ્ટ લેવાશે.માનસિક સજ્જતા ચકાસવા માટે કોમ્પ્યુટર બેઝ્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે,.
પરિણીતાને અપાયો ત્રાસ:પતિએ સાસરીમાંથી રૂ.15 લાખ લઇ આડા સંબંધે પત્નિ ઉપર ત્રાસ ગુજાર્યો
ભાવનગર શહેરમાં પિયરમાં રહેતા પરિણીતાના લગ્ન બાદ પતિએ સાસરીમાંથી દહેજ પેટે પંદર લાખ રૂપિયા લઇ કાઢી મુકતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરમાં મામાકોઠા વિસ્તારમાં રહેતા ઋતિકાબેન નમનભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના સને 2023માં નમન મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદમાં સાતેક માસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખેલ હતા. તે બાદ સમયાંતરે કરિયાવર બાબતે મેણાં ટોણા મારી, બે નણંદો અને સાસુ માનસિક ત્રાસ ગુજારતા હતા. પતિએ પત્નિ પાસે કારની માંગણી કરી દહેજ પેટે બાવીસ લાખ રૂપિયા માંગ્યા હતા. જે મામલે પરિણીતાના પિતાએ સંબંધ ટકાવવા માટે રૂપિયા પંદર લાખ જમાઇને આપેલ હતા તેમ છતાં પતિ નમન મકવાણાએ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ રાખ્યા હતા અને વધું લેણું થઇ જતાં ફરી ઋતિકાબેન પાસે રૂપિયાની માંગણીઓ મુકતા પરિણીતાએ રૂપિયા આપવાની ના પાડતા નમન મકવાણાએ ઋતિકાબેનને મારમારી એક વર્ષિય દિકરા સાથે ઘરેથી કાઢી મુક્યા હતા. જે બનાવમાં ઋતિકાબેન મકવાણાએ તેમના પતિ નમન પ્રદીપભાઇ મકવાણા, સસરા પ્રદીપ વજુભાઇ મકવાણા, સાસુ ચેતના પ્રદીપભાઇ મકવાણા, નણંદ હિરલ મકવાણા અને પૂર્વી મકવાણા વિરૂદ્ધ ભાવનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લાના પર્યટનને વેગ આપવા માટે આયોજન:પ્રવાસન ઉદ્યોગને ઇન્ડિગોની નવી ફ્લાઈટ થકી ફાયદો થવાની આશા
ભાવેણાવાસીઓની લાંબી પ્રતીક્ષા બાદ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા તા. 29 માર્ચથી ભાવનગર-નવી મુંબઈ-ભાવનગર વચ્ચે નવી ડેઈલી બે ફ્લાઈટનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગરના પર્યટનને વેગ આપવા માટે એક પહેલ સ્વરૂપે તે માટે સદા કાર્યરત ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) દ્વારા ભાવનગરના રાજવી વારસાના પ્રતિક સમાન નિલમબાગ પેલેસ હોટેલના સહયોગથી તા.24 માર્ચ, મંગળવારે સાંજે એક વિશેષ સમારોહનું આયોજન કરાયું છે. TAAB દ્વારા નિલમબાગ પેલેસ હોટેલ ખાતે આયોજિત આ સમારોહનો હેતુ ભાવનગરને ભારતના પર્યટન નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરવાનો, સૌ કોઈની એકતા અને સહકારથી ભાવનગરના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો છે. ઇન્ડિગોની આ નવી બે ફ્લાઈટ દ્વારા ભારતભરના આગ્રા, ગોવા, મેંગલુરુ, મદુરાઈ, જયપુર, નાગપુર, પટના, વારાણસી, બાગડોગરા, ચેન્નાઈ,બરેલી વગેરે શહેરોમાં જવા વાયા નવી મુંબઈ એ જ દિવસના કનેક્શન મળી રહેશે. એ જ રીતે આ શહેરો અને અન્ય શહેરોમાંથી પણ ભાવનગર આવવા માટે ફ્લાઈટ કનેક્શન મળવાના હોવાથી ભાવનગર શહેર તથા જિલ્લાના પાલિતાણા, બગદાણા, ખોડિયાર, મહુવા વગેરે સ્થળોએ પ્રવાસીઓ આવવાની શક્યતા વધશે જેથી જિલ્લાના પર્યટન તથા અન્ય ઉદ્યોગને પણ વેગ મળશે. આ સમારોહમાં ભાવનગરના રજિસ્ટ્રેડ ટ્રાવેલ એજન્ટો, ઈન્ડિગો ટીમ, ભાવનગરના ઇન્ફ્લુએન્સર્સ અને વિશેષ મહેમાનો વગેરે ઉપસ્થિત રહેશે.
કરોડપતિમાં થયા લાખોપતિ:ભાવેણાના યુવાન પરાગે KBCમાં જીત્યા 50 લાખ
ભાવનગર જિલ્લાના મૂળ નિવાસી પરાગ સિસોદિયાએ અત્યંત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ક્વિઝ કૌન બનેગા કરોડપતિમાં પસંદ થઈને સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને હજારો સ્પર્ધક વચ્ચેની કઠિન પસંદગી પ્રક્રિયા પાર કરીને કોન બનેગા કરોડપતિના મુખ્ય મંચ, હોટ સીટ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવ્યા બાદ હવે આ શોમાં પોતાની પ્રતિભાના આધારે રૂપિયા 50 લાખ જીતવાની સિદ્ધિ મેળવી છે. આગામી મહિને તેમનો આ એપિસોડ પ્રકાશિત થશે. વાંચન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન ઘટનાઓ પ્રત્યે વિશેષ રસ ધરાવતા પરાગ સિસોદિયાએ પોતાની રોજની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સતત અભ્યાસનો પોતાનો શોખ જાળવી રાખ્યો હતો. સાથે જીતવાનો આત્મવિશ્વાસ પણ હતો, તેના પરિણામે તે કોન બનેગા કરોડપતિ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રૂપિયા 50 લાખ જીતવામાં સફળ રહ્યા છે. કૌન બનેગા કરોડપતિમાં પરાગભાઇ આમ તો રૂ. 1 કરોડના સવાલ સુધી પહોંચી ગયેલા પણ તે સવાલ સાથે ગેમ ક્વિટ કરતા તેઓને રૂ. 50 લાખના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોન બનેગા કરોડપતિની પસંદગી પ્રક્રિયામાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સહિતના તબક્કાઓ પસાર કર્યા બાદ તેઓને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાની તક પ્રાપ્ત થઈ હતી અને તેમાં એક પછી એક અઘરા સવાલોના સાચા જવાબ આપીને રૂપિયા 50 લાખ જીત્યા હતા. તેની આ સફળતાથી તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. તૈયારી સાથે આત્મવિશ્વાસ હોય તો જીત મળેભાવનગરના યુવાનો માટે તેઓ પ્રેરણા રૂપ છે અને કહે છે કે સતત મહેનત, તૈયારી અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મોટા મંચ સુધી પહોંચી શકાય છે અને તેમાં જીત પણ અચૂક મેળવી શકાય છે. ત.ઓને આ વખતે તો પૂરતો વિશ્વાસ હતો કે કેસીબીમાં જીતીને જ પાછા ફરશે. UPSC પાસ કરી IAS થવાનું સ્વપ્નતાજેતરમાં જ પરાગભાઇએ જીપીએસસીની પરીક્ષા માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે અને તેઓ હાલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે તેઓનું નવસારીમાં પોસ્ટિંગ થયું છે. હવે UPSC પાસ કરી IAS થવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું.
દંડનીય કાર્યવાહી:1691ને મેમા, 70 લાખનો દંડ, સૌથી વધુ કેસ PUCના
ભાવનગર શહેર-જિલ્લામાં બ્લેક સ્પોટ સહિત વિસ્તારોમાં દિન પ્રતિદીન અકસ્માતો વધતા જાય છે. છેલ્લા અઢી માસમાં નિયમનો ઉલાળીયો કરતા 1691 વાહન ચાલકોને મેમા ફટકારી 70 લાખનો દંડ ફટકાર્યો હતો જેમાં સૌથી વધુ PUCના 180 મેમા ફટકાર્યા હતા. ભાવનગરમાં માર્ગ સલામતી જળવાઈ રહે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી ભાવનગર આર.ટી.ઓ. વિભાગ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જાન્યુઆરી-2026થી શરૂ થયેલી આ ઝુંબેશમાં માર્ચના મધ્ય સુધીમાં હજારો વાહનચાલકો દંડાયા છે. ખાસ કરીને રોંગ સાઇડ, લાયસન્સ વગર વાહન ચલાવનારા અને PUC વગરના વાહનો સામે RTOએ આક્રમક વલણ અપનાવ્યું છે. ચેકિંગ ડ્રાઈવમાં સૌથી વધુ કેસ PUC અને વિધાઉટ લાયસન્સના નોંધાયા છે. જાન્યુઆરીમાં 166, ફેબ્રુઆરીમાં 152 અને માર્ચના માત્ર 15 દિવસમાં જ 180 કેસ માત્ર PUCના નોંધાયા છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતા વ્યવસાયિક વાહનો અને ઓવરલોડ માલસામાન ભરેલા ટ્રકો સામે પણ તંત્રએ સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં એક જ વર્ષ દરમિયાન 157 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા અઢી માસમાં 1691 મેમા ફટકારી, 70 લાખ ઉપરાંતનો દંડ (માર્ચ માસનો ડેટા તા.15 સુધીનો છે) પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટિવ જેકેટ અને લાઠી આપવામાં આવે છેભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ તેમજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘમાં ચાલીને ધજા ચડાવવા માટે તેમજ દર્શન કરવા માટે પગાપાળા જઇ રહ્યા હોય છે અને રાત્રીના સમયે પદયાત્રીઓને અકસ્માતોથી બચાવવા માટે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા ગત માસમાં અનેક પદયાત્રીઓને રેડ રીફ્લેક્ટીવ જેકેટ તેમજ રીફ્લેક્ટીવ લાઠી આપવામાં આવી હતી. તેમજ અકસ્માતોથી બચવા માટે વાહનોની વિરૂદ્ધ દિશામાં ચાલવા માટે પણ સુચનો કરાયા હતા. > રૂત્વીકા દાણી, ભાવનગર આર.ટી.ઓ.
સન્ડે બિગ સ્ટોરી:365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણનો એક્શન પ્લાન
ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન પાણી વિતરણ અને ગુણવત્તામાં સુધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં કાપ સાથે અથવા એકાતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું, તે એકપણ પાણી કાપ વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ પણ તેમાં સુધારો કરી 365 દિવસ વિક્ષેપ વગર શુદ્ધ પાણી વિતરણ કરવાનો માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં અમુક વિસ્તારોની ફરિયાદોને બાદ કરતાં નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ ટેકનોલોજી સાથે સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવા ઈ.એસ.આર. અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે. તદુપરાંત વર્ષો જૂના પાણીના નેટવર્ક પણ બદલાવી નવા ઉભા કરવામાં આવી રહ્યા છે. નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીના નેટવર્ક અને કનેક્શનનું કામ ઘણું પ્રગતિમાં છે. પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે, વારંવાર પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ પડતા હોય છે. તેમજ ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જવાની સમસ્યાને નજર અંદાજ કરી શકાય નહીં. જેથી આ સમસ્યાના ઉકેલ માટે પણ ભાવનગર કોર્પોરેશન દ્વારા માસ્ટર ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છ અને નિરંતર પાણી પહોંચાડવા માટે જળ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો પહોંચાડવા તેમજ પાણી પુરવઠો ક્યારેય ખોરવાય નહીં તે માટે 17 સ્ટેપ પર કામ કરવામાં આવશે. અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ જગ્યાએ પાણી વિતરણમાં અવરોધ ઉભો થાય અથવા તો દૂષિત પાણીની ફરિયાદ કરવામાં આવે ત્યારબાદ તંત્ર જાગે અને ભાગે છે. પરંતુ નવા એક્શન પ્લાનમાં ફરિયાદ જ ઊભી ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઈસ્યુ પહેલા સોલ્યુશન માટે સતર્ક રહેશે. પરંતુ આ એક્શન પ્લાન માત્ર કાગળ પર ડ્રાફ્ટ તરીકે ન રહે તે માટે પણ તંત્રએ જાગૃત રહેવું પડશે. ભાવનગર શહેર ઉપરાંત 5 તાલુકાના પાણીમાં ખારાશનું પ્રમાણ વધ્યુંદર વર્ષે 22 માર્ચ જળ દિવસ તરીકે ઉજવાય છે. આ જળ દિવસ નિમિત્તે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ખાસ પાણીને લગતો પ્રશ્ન પાણીમાં વધતી જતી ખારાશનો છે. જમીનમાં ખારાશ વધી છે અને તેનાથી ભૂગર્ભ જળ પણ દૂષિત થયું છે. ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં આવેલી ફળદ્રુપ જમીનમાં ખારાશનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જિલ્લામાં જમીનમાં ખારાશનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આગામી દાયકાઓમાં જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આ ભૂમિ રણમાં ફેરવાઈ જશે તેમજ ભૂગર્ભ જળ પીવાલાયક રહેશે નહી. આજથી થોડા સમય પહેલા શિક્ષક ડો.દીપક પંડયાએ સેન્ટ્રલ સોલ્ટ અને ઈસરો જેવી ખ્યાતનામ સંસ્થા સાથે મળીને કરેલા સંશોધનમાં ચોંકાવનારૂં તારણ મળ્યું હતું કે ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં દર વર્ષે ત્રણેક કિ.મી.ની સરેરાશે જમીનમાં ક્ષાર ફેલાઈ રહ્યો છે. આમ છતાં ભાવનગર, ઘોઘા, મહુવા, તળાજા જેવા દરિયાઈ પટ્ટીના તાલુકાઓમાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા જમીન વધુને વધુ ખારી થતી રહી છે. ક્યાં 17 સ્ટેપ્સનો એક્શન પ્લાન?કોર્પોરેશન દ્વારા જે 17 સ્ટેપનો ડ્રાફ્ટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, તેમાં ગુણવત્તાપૂર્ણ પાણી પુરવઠા માટે અને વિક્ષેપ વગર પાણી આપવા માટે 17 ટેકનિકલ સ્ટેપ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને ટીમ આયોજન, ગેપ વિશ્લેષણ, મૂળ કારણો અને તેનો ઉકેલ, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ, ઓછી કિંમત અને ટકાઉ ઉકેલ, સંસાધન ઉપલબ્ધતા, સાવચેતીના પગલાં, દૈનિક કામમાં ગુણવત્તા, નમુના લેવાની પ્રક્રિયા, પાઇપલાઇન ઇન્સ્પેક્શન, લીકેજ ડિટેકશન, પાઇપલાઇન ભંગાણ દૂર કરવું, પાઇપલાઇન ફ્લશિંગ, ક્લોરીનેશન, યુવી ફિલ્ટ્રેશન એન્ડ ટ્રીટમેન્ટ, ક્રોસ કનેક્શન નિવારણ, પ્રેશર મોનિટરિંગ, પાણી ગુણવત્તા પ્રયોગશાળા ટેસ્ટ સહિતના પગલાં ઉપર કામ કરવામાં આવશે. નિયમિત શુદ્ધ પાણી વિતરણનું પ્લાનિંગશહેરીજનોને રોજે રોજ નિયમિત શુદ્ધ પાણી મળી રહે તે માટે ડ્રાફ્ટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી લાગશે તેમાં સુધારો કરી અમલીકરણ તરફ ટીમ આગળ વધી રહી છે. પાણી વિતરણ વ્યવસ્થાને આધુનિક સાથે કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે. તદુપરાંત આગામી દિવસોમાં લોકોને નિયમિત 24 કલાક પાણી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવશે. ભાવનગરના શહેરીજનોને પાણી વિતરણમાં કોઈપણ અવરોધ વગર ગુણવત્તાયુક્ત પાણી મળે તે અમારો ગોલ છે. > મૌલિક પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર મ્યુ 20 વર્ષ બાદ ઘોઘાની જમીન ભાલ જેવી થઇ જશેસામાન્ય PHનું પ્રમાણ હોવુ જોઈએ એ કરતા ત્રણ ગણુ વધારે છે એટલે કે 300ને બદલે 1100 PH જેટલુ પાણી અત્યારે પીવાના ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘાથી 35 કિ.મી.ની આજુબાજુના વિસ્તારની જમીન આગામી 20 વર્ષ પછી ભાલ પંથક જેવી કસ વગરની હશે જેને કારણે પાક લઈ શકાય નહીં તેવી પરિસ્થિતિ ઊભી થવાની પણ શકયતા છે.
પરીક્ષાના તણાવની અસર:બોર્ડના પરિણામ પહેલાં જ તણાવનો વિસ્ફોટ, બે વિદ્યાર્થીએ ફિનાઇલ પી લીધું
રાજકોટ શહેરમાં પરીક્ષાનું દબાણ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા વચ્ચે બે અલગ અલગ બનાવોમાં સગીરોએ આપઘાતનો પ્રયાસ કરતા ચિંતા વ્યાપી ગઈ છે. બંને બનાવોમાં ફિનાઈલ પી જવાની ઘટના સામે આવી છે અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રથમ બનાવ શહેરના થોરાળા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી ઇતિહાસનું પેપર નબળું જતા ભારે ટેન્શનમાં આવી ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ તે સતત માનસિક દબાણમાં રહેતો હતો. ગઈકાલે સાંજે પોતાના ઘરે તેણે ફિનાઈલ પી લીધી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તરત જ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વિદ્યાર્થીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરાઈ હતી. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેની તબિયત સ્થિર છે. બીજો બનાવ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી ટાઉનશિપ વિસ્તારમાં બન્યો હતો. અહીં 17 વર્ષની સગીરા ધોરણ 10 બાદ શું કરવું તે મુદ્દે લાંબા સમયથી ગૂંચવણ અને ચિંતામાં હતી. યોગ્ય માર્ગદર્શન ન મળતા તે માનસિક રીતે પરેશાન રહેતી હતી. ગઈકાલે મધરાતે પરિવારજનો સૂતા હતા ત્યારે તેણે ઘરે ફિનાઈલ પી લીધું હતું. થોડીવાર બાદ ઊલટી અને ઊબકા થતા પરિવારજનો જાગી ગયા હતા. પૂછપરછમાં સગીરાએ ફિનાઈલ પીધાનું જણાવ્યું હતું. તરત જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, સમયસર સારવાર મળતા સગીરાની સ્થિતિ પણ હાલ સ્થિર છે. આ બંને બનાવોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષાનું દબાણ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા સગીરો પર ભારે પડી રહી છે. નિષ્ણાતોના મત મુજબ આવા સમયમાં માતા-પિતા અને શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારો અત્યંત જરૂરી બની જાય છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના આંગણે ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ નાનામવા ચોક, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલા કોર્પોરેશન પ્લોટમાં સવારે 9થી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મેળાના શુભારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો સંદેશ દ્વારા આ અવસરે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં એકસાથે આ મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “બેક ટુ બેઝિક” મંત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તંદુરસ્ત જીવન માટે આરોગ્યપ્રદ આહાર અનિવાર્ય છે અને લોકોની થાળીમાં હેલ્ધી ફૂડ પહોંચે તે માટે મિલેટનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જનકલ્યાણના બે અભિયાન શરૂ કરાયા છે. કઠોળ, સૂપ, મુખવાસ, ધૂપ, પૂજા સામગ્રી, વિવિધ પ્રકારના તેલ, મસાલા, અથાણા સહિતની તમામ વસ્તુઓનું વેચાણઆ મહોત્સવમાં કઠોળ, સૂપ, મુખવાસ, હેલ્ધી નાસ્તા, ધૂપ, પૂજા સામગ્રી, આયુર્વેદિક ઔષધિઓ, વિવિધ પ્રકારના તેલ, મસાલા, અથાણા સહિતની તમામ વસ્તુઓનું વેચાણ થાય છે. વિશેષ વાત એ છે કે, અહીં રાગી, જુવાર, બાજરી, કોદરીમાંથી બનાવેલી ઇડલી તથા પાણીપૂરી, પિત્ઝા સહિતની ખાણીપીણીની વસ્તુઓ લોકો માટે આકર્ષક બની રહી હતી. જેમાં હંસાબેન માકડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકો રાગીની ઇડલી વધુ પસંદ કરે છે અને બાળકો ધાન્યમાંથી બનાવાયેલા રોટલી, રોટલા નથી ખાતા પણ ઇડલીનું નામ સાંભળી બાળકોને પસંદ પડે છે. જેમાં કોદરીની ઇડલી થોડી મોંઘી પડે છે.
પત્નીએ કેરોસીન છાંટી આગ ચાંપી દીધી:પતિએ મંદિરે સાથે આવવાની ના કહેતા પત્નીનું અગ્નિસ્નાન
રામનાથપરા શેરી નં.14માં રહેતા મીનાબેન ચોઇથારામ ખટ્ટર(ઉ.વ.52) નામના મહિલાએ રાતે નવેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર હાલતમાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. મીનાબેનના લગ્ન છવ્વીસ વર્ષ પહેલાં થયા છે. સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે. પતિ હેમુ ગઢવી હોલ પાછળ દાળ-પકવાન-નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. ચોઇથારામ ખટ્ટરે જણાવ્યું હતું કે, શુક્રવારે અમારો સિંધી સમાજનો ચેટીચાંદનો તહેવાર હોઇ રાતે મારા પત્ની મીનાબેનને રામનાથપરામાં જ આવેલા અમારા સમાજના મંદિર ખાતે જવું હતું. પણ હું કામમાં હોઇ મેં તેણીને દીકરાને સાથે લઇ જવાનું કહ્યું હતું, આ કારણે તેણીને માઠું લાગી ગયું હતું અને જૂનું પડતર કેરોસીન પડ્યું હોઇ તે શરીરે છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેરમાં નશાના જાળને ચૂર કરવા પોલીસ હવે આક્રમક મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો, શાળા અને કોલેજ આસપાસ ડ્રગ્સનું વેચાણ કોઈપણ કિંમતે સહન નહીં થાય. તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજામાં કુરિયર મારફત સપ્લાય કરાતી હોવાનું બહાર આવતા તે પોલીસ માટે પણ ચિંતાજનક બન્યું છે. કમિશનરે કડક શબ્દોમાં સૂચના આપી કે, પાનના ગલ્લા અને તંબાકુ વેચાણના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક તાબો મેળવવો. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થો વેચાતા હોવાની શંકા હોય તો સીધી પોલીસને જાણ કરવા શિક્ષણ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું. યુવાનોમાં વધતા જતા ગાંજા અને અન્ય ડ્રગ્સના ટ્રેન્ડને “લાલબત્તી” ગણાવી કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને સક્રિય અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ડી.સી.પી. જગદીશ બાંગરવાએ બેઠકમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા. માત્ર એક જ મહિનામાં 365 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ.12.78 લાખથી વધુ છે, તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ કુલ 4 કેસમાં રૂ.24 લાખથી વધુના અફીણ અને ગાંજાનો જથ્થો જપ્ત કરી 6 આરોપીને એન.ડી.પી.એસ. હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસની કડક કામગીરી માત્ર ડ્રગ્સ પૂરતી મર્યાદિત નથી. શાળા આસપાસ 100 મીટર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં પાનના ગલ્લા ચલાવતા વેપારીઓ સામે કોપટા એક્ટ હેઠળ 141 કેસ કરી રૂ.28,200નો દંડ ફટકારાયો છે. બેઠકમાં એક મહત્ત્વની ચેતવણી પણ આપવામાં આવી કે, ઓનલાઇન પેમેન્ટ અને કુરિયર મારફતે ડ્રગ્સની ડિલિવરીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ થતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો છે. 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતા અને વાસણના સ્ક્રેપના ધંધા સાથે જોડાયેલા દંપતીએ “ઝટપટ નફો”ના સપના બતાવીને સગાં-સંબંધીઓને જ શિકાર બનાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનો ગુનો નોંધાયા બાદ હવે આર્થિક ગુના નિવારણ શાખાએ આ ચીટર દંપતીનો શિકાર બનેલાઓને ફરિયાદ કરવા અપીલ કરી છે. ઓમનગરમાં રુદ્ર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટ નં.301માં રહેતા પ્રિયંક રમેશભાઈ કારિયા અને તેમની પત્ની ડિમ્પલબેન કારિયાએ ‘શ્રી ગિરિરાજ વાસણ’ અને ‘શ્રી દ્વારકાધીશ વાસણ’ નામની પેઢીઓ દ્વારા રોકાણકારોને આકર્ષ્યા હતા. શરૂઆતમાં સમયસર વળતર આપી વિશ્વાસ ઊભો કર્યો, પરંતુ બાદમાં અંદાજે રૂ.3.50 કરોડથી વધુ રકમ એકઠી કર્યા પછી ચૂકવણી બંધ કરી દીધી. પરિણામે અનેક પરિવારો આર્થિક રીતે શીશામાં ઉતરી ગયા છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. ડોબરિયાના જણાવ્યા મુજબ, આરોપી દંપતી સામે BNS-2023ની કલમ 318(4) તેમજ જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં જ છેતરપિંડીનો આંકડો સાડા ત્રણ કરોડથી વધુનો હોવાની વિગતો બહાર આવી છે. આથી હવે EOW દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ નાગરિકોએ આ દંપતી કે તેમની પેઢીઓમાં રોકાણ કર્યું હોય અને છેતરાયા હોય, તેઓએ 3 દિવસમાં પુરાવા સાથે જામનગર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચોથા માળે અથવા મોબાઇલ નં.99781-94661 પર સંપર્ક સાધવો.
વૃદ્ધે જીવન ટૂંકાવ્યું:પગની બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
રાજકોટના કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા નારાયણનગર-1માં રહેતા ઉદય અરજણભાઈ ચૌહાણ (ઉ.વ.60) નામના વૃદ્ધે પોતાના ઘરે પંખાના હૂકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા 108 બોલાવી હતી. ઈએમટી સહિતનાએ જોઈ તપાસી વૃદ્ધને મૃત જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ ટી.જે. સરવૈયા સહિતના સ્ટાફે સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ન્યારી ડેમ નજીક રહેતા કિશન સોલંકી નામના કેટરર્સના ધંધાર્થીને સાગર, માયા તથા સાગરના બે મિત્રોએ જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.
રાજકોટની ભાગોળે આવેલ કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે કમાલ કરી છે. 5200 ઘર અને 3200 નાના મોટા ઉદ્યોગો ધરાવતા શાપર ગામની ગ્રામપંચાયત એક, બે, ત્રણ, ચાર કે પાંચ નહીં, પરંતુ પ્રજાજનોને સુવિધા આપવામાં નવ-નવ બાબતોમાં રાજ્યકક્ષાએ પ્રથમ છે. શાપર પંચાયત ગામમાં નિયમિત સફાઈ અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી કમાણી કરતું થયું છે. સાથે જ ગામના પાણીના સમ્પ પર સોલાર પેનલ લગાવી સોલાર પાવર થકી મહિને સ્ટ્રીટલાઈટનું 40થી 50 હજારનું બિલ બચાવવાની સાથે જ કમાણી કરતું થયું છે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ માત્ર 9237 અને અનઓફિસિયલી 80 હજારની વસ્તી ધરાવતું શાપર ગ્રામ સુવિધા બાબતે આજે રાજકોટ જેવા મહાનગરને પણ ટક્કર આપી રહ્યું છે. સુવિધાઓ આટલી યોજનામાં રાજ્યમાં નંબર-1
ભાસ્કર ફોલોઅપ:તોડબાજ પત્રકારે ભાજપના નેતા પાસેથી ખંડણી માગી’તી!
રાજકોટમાં એક હોમિયોપેથી તબીબ સહિત 12 પત્રકારો અને ન્યૂઝ ચેનલના માલિકો સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયા બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેર ભાજપના અગ્રણી વિજયભાઈ પાડલિયા પાસેથી અંદાજે રૂ.5 લાખની ઉઘરાણી કરવા અને માનસિક ત્રાસ આપવા મામલે ‘ભારત હેડલાઈન’ના સંચાલક વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં લેખિત ફરિયાદ થઈ છે. ગંદી રમત : દીકરીનું કરિયર-પિતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવીશહેરના નિર્મલા રોડ પર બાલમુંકુંદ પ્લોટ નં.51માં રહેતા વિજયભાઈ પાડલિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી યુનિવર્સિટી રોડ પર દાંતનું દવાખાનું ચલાવે છે. આ ક્લિનિક કાયદેસર હોવા છતાં, સામાવાળાઓએ તેને ‘ગેરકાયદે બાંધકામ’ તરીકે ચિતરી ન્યૂઝ પેપરમાં વારંવાર હેડલાઈન્સ છાપી હતી અને જણાવ્યું હતું કે, રાજકીય માણસની પુત્રીના દવાખાનાનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. ખરેખર અમારે અમારી પુત્રીના દવાખાના સાથે કોઇ લેવાદેવા નથી. તેમ છતાં અમો ફરિયાદીને બદનામ કરવામાં આવતા હતા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય વિજયભાઈને રાજકીય રીતે પછાડવાનો અને ડરાવી-ધમકાવીને લાખો રૂપિયા પડાવવાનો હતો. ‘અમારા જેવા અનેક પીડિતો છે, પોલીસ પગલાં લેશે તો બધા સામે આવશે’વિજયભાઈએ આક્રમક રીતે રજૂઆત કરી છે કે, આ કહેવાતા પત્રકારો માત્ર પૈસા બનાવવાના ઈરાદાથી જ ચેનલો ચલાવે છે અને જાહેર જનતાને ઉપયોગી થાય તેવા કોઈ ન્યૂઝ આપતા નથી. તેમણે પોલીસ પાસે માંગ કરી છે કે, આ શખ્સો સામે કડક પગલાં ભરી તેમની પ્રાઈવેટ ન્યૂઝ ચેનલો તાત્કાલિક બંધ કરાવવામાં આવે. તબીબને બ્લેકમેઇલિંગના ગુનામાં પુરાવા ભેગા કરતી પોલીસઆયુર્વેદિક તબીબની અંગત પળોના વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવાના પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા કવાયત હાથ ધરી છે અને પુરાવા ભેગા થઇ ગયા બાદ તમામ આરોપીઓને ઉઠાવી લેવાશે તેમ પીઆઇ કૈલાએ જણાવ્યું હતું. ટી.પી. શાખાના અમુક અધિકારી અને તોડબાજ પત્રકારોની સાંઠગાંઠછેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ તોડબાજ ગેંગોએ બિલ્ડર લોબી પર આતંક મચાવ્યો હતો અને તેમાં ટી.પી. શાખાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠ હોવાની ચર્ચા છે. ટી.પી. શાખાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા તોડબાજ પત્રકારોને ક્યાં ગેરકાયદે બાંધકામ થાય છે? અથવા કાયદેસર બાંધકામમાં કેટલું બાંધકામ ગેરકાયદે થયું છે? તેની વિગતો આ પૂરી પાડવામાં આવતી હતી અને ત્યારબાદ જે તે બિલ્ડિંગની સાઇટ પર પહોંચી ફોટા પાડી, વીડિયો ઉતારી સીધા તેના માલિકનો સંપર્ક કરતા હતા અને સેટલમેન્ટ નહીં કરે તો છાપામાં છાપવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગતા હતા. જો બિલ્ડર કે બાંધકામ કરનાર વ્યક્તિ આ માટે સહમત ન થાય તો તેના વિરુદ્ધ પોતાના ચોપાનિયામાં લેખ છાપી ત્યારબાદ ટી.પી.શાખામાં અરજી કરતા હતા અને પોતાના મળતિયા અધિકારી મારફત ત્યાં ચેકિંગ કરાવી દબાણ કરાવી તોડ કરતા હતા અને તોડ થઇ ગયા બાદ આ અરજી પાછી ખેંચી લેતા હતા. આ પ્રેક્ટિસમાં ટી.પી.શાખાના અધિકારીઓનો પણ હિસ્સો રખાતો હતો. જો ટી.પી. શાખામાં કેટલી અરજી પાછી ખેંચાઇ તેની તપાસ થાય અને તે વિભાગના અધિકારીના મોબાઇલ ડિટેલ ચકાસવામાં આવે તો તોડબાજ પત્રકારો સાથેના તેના સંબંધની હકીકત પ્રકાશમાં આવી શકે તેમ છે. પત્રકારત્વ કે પૈસા છાપવાનું મશીન? ફરિયાદના 3 મોટા ખુલાસા
સન્ડે બિગ સ્ટોરી:રાજકોટમાં 900 કરોડના ખર્ચે બનશે મહાત્મા મંદિર
સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક નકશામાં મોટો ફેરફાર લાવનાર પ્રોજેક્ટ હવે આકાર લેવાની દિશામાં આગળ વધ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતને હવે વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન અને બિઝનેસ સમિટ યોજવા માટે અન્ય શહેરો પર નિર્ભર નહીં રહેવું પડે. શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવરની પાળે અંદાજે રૂ.900 કરોડના માતબર ખર્ચે રાજ્યનું બીજું ‘મહાત્મા મંદિર’ (એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર) બનાવવાનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી ફંડ ફાળવવામાં આવશે અને પીપીપી (PPP) ધોરણે આખું સંકુલ તૈયાર થશે. પાંચ વખત ટેન્ડર નિષ્ફળ ગયા બાદ હવે નવી આશાઆ પ્રોજેક્ટ માટે મનપાએ અગાઉ પાંચ વખત પ્રયાસો કર્યા હતા અને કેન્દ્ર સરકારે તે સમયે રૂ.10 કરોડ ફાળવી પણ દીધા હતા. જોકે, કોઈ યોગ્ય એજન્સી ન મળતા પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હતો. હવે મનપાએ ફરીથી ‘ટ્રાન્ઝેક્શન એડવાઈઝર’ની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ એડવાઈઝર પ્રોજેક્ટની ફિઝિબિલિટી તપાસશે, નાણાકીય એનાલિસિસ કરશે અને ટેક્નિકલ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે. આ ફાયદો : સ્થાનિક રોજગારી-અર્થતંત્રને બૂસ્ટ મળશેઆ સેન્ટર કાર્યરત થવાથી સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ, ફોર્જિંગ અને ટેક્સટાઈલ ઉદ્યોગને નવું બળ મળશે. સ્થાનિક વેપારીઓ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ખરીદદારો સામે કરી શકશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્માર્ટ સિટી વિસ્તારમાં રિઅલ એસ્ટેટ માર્કેટને પણ મોટો ફાયદો થશે. બિડર શોધવાની કામગીરી T.A. કરશેસૂત્રોએ જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ માટે બિડર શોધવાની કામગીરી ટ્રાન્ઝેક્શન એડવાઇઝર કરશે. આ T.A. માટે પણ અમુક એજન્સીઓ ઈવોલ્યુટ કરશે. ટ્રાન્ઝેક્શન એડવાઇઝર બિડરની નિમણૂક કરશે ત્યારબાદ તેમની કામગીરી શરૂ થશે. ગાંધીનગરના મહાત્મા મંદિરની થીમ પર નિર્માણરાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલી અંદાજે પોણા બે લાખ ચોરસ મીટર (1.75,000 ચો.મી.) જમીન પર આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ડિઝાઈન અને સુવિધાઓ ગાંધીનગરના મહાત્મા મંદિરને મળતી આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી, ત્યારે શહેરમાં યોગ્ય જગ્યા ન હોવાથી તે મારવાડી યુનિવર્સિટી ખાતે યોજવી પડી હતી. આ ઊણપ હવે દૂર થશે. કન્વેન્શન સેન્ટરમાં હશે આ સુવિધાઓઆ આધુનિક સેન્ટરમાં માત્ર એક્ઝિબિશન હોલ જ નહીં, પરંતુ બિઝનેસ અને પ્રવાસનને વેગ મળે તેવી અનેક સુવિધાઓ હશે PPP મોડલ પર પ્રોજેક્ટ: રોકાણ અને હિસ્સેદારીઆ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે સાકાર થશે. જેમાં નાણાકીય માળખું નીચે મુજબ રહેશે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ: કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% રકમ કેન્દ્ર સરકાર દ્વારા અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત આપવામાં આવશે. એજન્સીનું રોકાણ: જે એજન્સીને આ કામ સોંપવામાં આવશે તેણે 25% રકમનું રોકાણ કરવાનું રહેશે. મનપાનો હિસ્સો: બાકીની 25% રકમના બદલે રાજકોટ મહાનગરપાલિકા પોતાની કિંમતી જમીન ફાળવશે.
દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ:વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનાર 3 વર્ષ બાદ દિલ્હીથી ઝડપાયો
શહેરને અડીને આવેલા પલસાણા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ ગુજારી ભાગી ગયેલો આરોપી ત્રણ વર્ષ બાદ નવી દિલ્હીથી ઝડપાયો છે. જિલ્લા એલ.સી.બી.ની ટીમે બાતમીને આધારે નવી દિલ્હી ખાતે પહાડ ગંજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી પંકજ ભભુતી પાંડે (ઉ.વ. 32 )ને પકડીને પૂછપરછ કરતા તેણે વર્ષ 2022માં સગીરા ઉપર બળાત્કાર કર્યો હોવાની વાત કબૂલતા સુરત લઈ આવી હતી. આરોપી પંકજ પલસાણા રહેતો હતો એ દરમિયાન સુરતની એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન બળાત્કાર ગુજારી ભાગી ગયો હતો. દિલ્હીમાં પણ તે પહાડગંજ વિસ્તારમાં છકડો રીક્ષા ચલાવતો હતો. એલ.સી.બી.ની ટીમ દ્વારા ગંભીર ગુનાના આરોપીઓ શોધવા માટે શરૂ કરેલા અભિયાનમાં પંકજની પણ શોધખોળ શરૂ કરતા દિલ્હી હોવાની બાતમી મળતા દિલ્હી પોલીસ સાથે સંકલનમાં આરોપીને ટીમે ઝડપી પાડયો હતો. પલસાણા પોલીસે પોક્સોની કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
વેપારી સાથે ઠગાઈ:પુણામાં ક્લાર્ક કાપડ વેપારીના રૂપિયા 40 લાખ લઈ રફૂચક્કર
પુણા વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કટના વેપારી સાથે ઉઘરાણી કલાર્ક રૂ. 40 લાખ લઇને નાસી ગયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો ક્લાર્ક આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા લઇને નાસી ગયો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પરવત પાટીયા માધવબાગ સામે આવેલા વ્રજભુમિ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઇ કનૈયાલાલ રાઠી પુણા વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં છેલ્લા ચાર વર્ષથી ઉઘરાણી ક્લાર્ક તરીકે મહેન્દ્રસિંગ સ્વરૂપસિંગ (રહે, હિંગળાજ સોસાયટી, રોકડિયા હનુમાન મંદિર પાસે ખટોદરા સુરત મુળ રહે, રાજસ્થાન નિમ્બોકા ગામ)નોકરી કરતો હતો. તા. 19મી માર્ચના રોજ બે આંગડિયા પેઢીમાં આવેલા રૂપિયા લેવા માટે વેપારીએ મહેન્દ્રસિંગને મોકલ્યો હતો. આ આંગડિયા પેઢીમાંથી તેણે રૂ. 40 લાખ રોકડા લીધા હતા. આ રૂપિયા લીધા બાદ રાત સુધી તે પરત નહીં આવતા માલિક રાકેશભાઇએ કોલ કર્યો હતો પણ તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. જ્યારે તપાસ કરતા તેને ઉઘરાણી માટે આપેલી બાઇક પણ પાર્કિંગમાં પડી હતી. આખરે મહેન્દ્રસિંગ રૂપિયા લઇને નાસી ગયાનો અહેસાસ થતા રાકેશભાઇએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રસિંગ સામે ઉચાપતનો ગુનો નોંધી તપાસ આદરી છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરના આંગણે વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર વીવીઆઈપી મૂવમેન્ટ અને સરકારી કામકાજ માટે મર્યાદિત રહેલી હેલિકોપ્ટર સેવા હવે સામાન્ય નાગરિકો અને બિઝનેસ સેક્ટર માટે પણ ઉપલબ્ધ બને તે દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ટૂંક સમયમાં જ એક અદ્યતન ‘કોમર્શિયલ હેલિપેડ’નું નિર્માણ કરી ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવશે. અત્યારે જે બાયરોડ 40 મિનિટનું અંતર જે એર ટેક્સીથી થોડી મિનિટમાં કપાઈ જશે અને ગિફ્ટ સિટી પાસે હાઈટેક હેલિપેડનું નિર્માણ થઈ શકે છે. હેલિપેડના નિર્માણને લીલીઝંડીગુજરાતના પાટનગરને ગ્લોબલ બિઝનેસ હબ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગાંધીનગરમાં અત્યાધુનિક ‘કોમર્શિયલ હેલિપેડ’ નિર્માણ પામશે. વાયબ્રન્ટ ગુજરાત તેમજ ખાસ કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ઘ્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના ભાગરૂપે હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલિપેડના નિર્માણ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશેઅત્યાર સુધી ગાંધીનગરમાં માત્ર સરકારી કે VVIP મૂવમેન્ટ માટે જ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ હતી, પરંતુ હવે ખાનગી ક્ષેત્ર અને સામાન્ય નાગરિકો પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશે, જે ખાસ કરીને મોટા ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો માટે સમયની બચત કરનારું સાબિત થશે. સરકાર આ હેલિપેડને પીપીપી મોડલ અથવા ડેઝિગ્નેટેડ ઓથોરિટી હેઠળ કાર્યરત કરી શકે છે. હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધાથી 24 કલાક ચાલુ રહી શકશેઆ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધારવા તેમજ રાજ્યમાં વધતા જતા ઉદ્યોગ સાહસિકો અને પ્રવાસીઓને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. ખાસ કરીને વાઈબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ દરમિયાન વિદેશી ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓને એરપોર્ટથી સીધા ગાંધીનગર લાવવા માટે આ હેલિપેડ આશીર્વાદરૂપ સાબિત થશે. આ હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે જે તેને અન્ય હેલિપેડ કરતા અલગ પાડશે. આ સાથે જ નાઈટ લેન્ડિંગની વ્યવસ્થા હોવાથી 24 કલાક આ સુવિધા કાર્યરત રહી શકશે. ઈમરજન્સી મેડિકલ સર્વિસ માટે હેલિકોપ્ટર મળી રહેશેતંત્ર દ્વારા આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં નિર્માણ થનારું નવું કોમર્શિયલ હેલિપેડ માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ આરોગ્ય સેવાઓ માટે પણ મહત્વનું કેન્દ્ર બનશે. આ હેલિપેડ પરથી એર એમ્બ્યુલન્સ ઓપરેટ કરવાની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક અન્ય શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ખસેડી શકાય. પાટનગરમાં વધતી જતી વસ્તી અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે આ એર-કનેક્ટિવિટી મેડિકલ ઈમરજન્સીમાં જીવનરક્ષક સાબિત થશે. ગિફ્ટ સિટીની આસપાસ આધુનિક હેલિપેડ માટે જગ્યાની પસંદગી થઈ શકેસ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ હેલિપેડ શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટી અથવા તેની આસપાસના વિસ્તારોમાં આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે અને પર્યટન ક્ષેત્રને મોટો ફાયદો થશે. સામાન્ય-કોમર્શિયલ ઉપયોગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા મંજૂરી ગાંધીનગરમાં કોમર્શિયલ હેલિપેડ બનવા અંગેના પુરાવાઓ ગુજરાત સરકારના બજેટ અને નાગરિક ઉડ્ડયન વિભાગની તાજેતરની હિલચાલમાં જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે બજેટમાં ગુજરાતમાં એર કનેક્ટિવિટી વધારવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગરમાં 'હેલિપોર્ટ' વિકસાવવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારે પાટનગરમાં VVIP સિવાયના સામાન્ય અને કોમર્શિયલ ઉપયોગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હેલિપેડ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગિફ્ટ સિટી અને ચિલોડા બેલ્ટની આસપાસ હેલિપેડ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કોમર્શિયલ ઓપરેશન માટે DGCAના નિયમો મુજબ જગ્યાની પસંદગી પ્રક્રિયા ગતિમાં છે. 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના હેઠળ હેલિકોપ્ટર સેવા શરૂ થશેબીજી તરફ કેન્દ્ર સરકારની 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના હેઠળ હેલિકોપ્ટર સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગરને આ યોજના સાથે જોડવા માટે કોમર્શિયલ હેલિપેડ અનિવાર્ય છે. તાજેતરમાં રાજ્યના ઉડ્ડયન મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું કે મોટા શહેરો વચ્ચે 'ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ' શરૂ કરવામાં આવશે જેમાં ગાંધીનગર મુખ્ય કેન્દ્ર તરીકે રહેશે. ગાંધીનગરમાં કાયમી કોમર્શિયલ બેઝ પર અત્યારે કામ ચાલી રહ્યું છેછેલ્લી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે થયેલા એમઓયુમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ખાનગી હેલિકોપ્ટર ઓપરેટરોને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે ગાંધીનગરમાં કાયમી કોમર્શિયલ બેઝ હોવો જરૂરી છે જેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આમ સરકારી બજેટમાં નાણાકીય જોગવાઈ અને GUJSAIL દ્વારા થતી જમીન ચકાસણી એ વાતનો પુરાવો છે કે ગાંધીનગર ટૂંક સમયમાં જ કોમર્શિયલ હેલિકોપ્ટર સેવાઓનું સાક્ષી બનશે.
રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એટલે કે 'ધુરંધર 2' રિલીઝ થઈ ચૂકી છે અને પહેલાં ભાગની જેમ જ પાર્ટ-2 પર પણ દર્શકો આફરિન થઈ ગયા છે. ખાસ કરીને આદિત્યધર નિર્દેશિત આ ફિલ્મના બન્ને ભાગની સરખામણી પણ કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, આ ફિલ્મ પ્રોપગેન્ડા હોવાની પણ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.ફિલ્મ પહેલા દિવસે જ સૌથી ₹100 કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની જોરદાર ચર્ચાઓ વચ્ચે દિવ્ય ભાસ્કરે ઓડિયન્સ સાથે વાતચીત કરી હતી. જેમાં અક્ષય ખન્ના-રણવીરસિંહમાંથી કોણે બેસ્ટ એક્ટિંગ કરી? બન્ને ભાગમાંથી ક્યો ભાગ સારો છે? સહિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સુરત શહેર માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવતી સુરત-શારજાહ ફ્લાઈટ આગામી 28 માર્ચથી બંધ થવા જઈ રહી છે. એરલાઇન્સ દ્વારા આ રૂટનું બુકિંગ બંધ કરી દેવામાં આવતા સુરતવાસીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોના સંઘર્ષ બાદ 16 ફેબ્રુઆરી 2019ના રોજ આ ઐતિહાસિક ફ્લાઈટ શરૂ થઈ હતી, જેની સાથે સુરતીઓનું ભાવનાત્મક જોડાણ જોડાયેલું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધથી એર કનેક્ટિવિટી પર માઠી અસરહાલમાં મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિને કારણે એર કનેક્ટિવિટી પર માઠી અસર પડી છે. સુરતથી ઓપરેટ થતી એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોની દુબઈ તરફની ફ્લાઈટ્સ પહેલેથી જ સ્થગિત રાખવામાં આવી છે. શારજાહ રૂટને પડતો મૂકવાનો નિર્ણયસૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ હવે સુરતથી માત્ર દુબઈ સેક્ટર પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેના કારણે શારજાહ રૂટને પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. કઈ કઈ ફ્લાઈટ્સ હાલમાં બંધ છે?સુરત એરપોર્ટ પરથી હાલમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોની સ્થિતિ ડામાડોળ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ (IX 273) અને દુબઈ-સુરત (IX 274) તેમજ ઈન્ડિગોની સુરત-દુબઈ (6E 1507) અને દુબઈ-સુરત (6E 1508) ફ્લાઈટ્સ પણ હાલમાં બંધ છે. આ સંજોગોમાં શારજાહ ફ્લાઈટ પણ બંધ થતા સુરતના હજારો ડાયમંડ અને ટેક્સટાઈલ વેપારીઓ કે જેઓ નિયમિત ખાડી દેશોમાં અવરજવર કરે છે, તેઓ માટે મુશ્કેલી ઊભી થશે. સંસ્થા અને મુસાફરો દ્વારા વિરોધWWWAS (વર્કિંગ વિધ્ધ વ્હીલ્સ એન્ડ વિંગ્સ ઓફ સુરત)ના સભ્ય સંજય જૈને આ નિર્ણય અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ફ્લાઈટ માત્ર મુસાફરીનું સાધન નહોતી પરંતુ સુરતની આંતરરાષ્ટ્રીય ઓળખનું પ્રતીક હતી. આ રૂટ પર મુસાફરોનો સારો પ્રતિસાદ અને પૂરતું બુકિંગ હોવા છતાં તેને બંધ કરવી એ સુરત સાથે અન્યાય સમાન છે. આ નિર્ણયથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરી શરૂ કરવા માટે સુરતવાસીઓની માંગસુરતવાસીઓની માંગ છે કે આ ફ્લાઈટને કોઈ પણ સંજોગોમાં બંધ ન કરવામાં આવે. શહેરની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત કરવા માટે અને વેપારીઓની સુવિધા માટે આ ઉડાન ચાલુ રાખવી અનિવાર્ય છે. જો આ સેવા બંધ થશે તો સુરતીઓએ ફરીથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડશે. લોકો ઈચ્છી રહ્યા છે કે સત્તાધીશો આ મામલે મધ્યસ્થી કરે અને ફ્લાઈટ ફરીથી કાર્યરત થાય.
બ્રિજ સિટી તરીકે જાણીતા સુરતમાં પાલિકા દર વર્ષે બ્રિજ બનાવવા અને ખાડી સફાઈ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરે છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. અહીં પ્રિયંકા નંબર 1 અને 2 સોસાયટીને જોડતા બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી હજારો રહીશો જીવના જોખમે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જવા મજબૂર બન્યા છે. ડીંડોલી વિસ્તારમાં આવેલી ખાડી પર આ બ્રિજની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ-બે મહિનાથી આ કામ તદ્દન બંધ હાલતમાં હતું. વારંવારની રજૂઆતો અને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિરોધ બાદ માત્ર બે દિવસથી જ અહીં ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે ખાડી સફાઈના નામે કરોડોનો ધુમાડો છતાં અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગતને કારણે કામમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. ગોકળગાયની ગતિએ શબ્દ પણ અહીં ઓછો પડે તેવી સ્થિતિ છે. બ્રિજ બનવાથી જે બે સોસાયટીઓ વચ્ચેનું અંતર ઘટવાનું હતું, તે અત્યારે રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ધૂળના પાળા પરથી જીવના જોખમે અવરજવરબ્રિજનું મુખ્ય કામ ચાલુ હોવાથી જૂનો રસ્તો અથવા અવરજવરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના વિકલ્પ તરીકે પાલિકા કે કોન્ટ્રાક્ટરે કોઈ સુરક્ષિત વ્યવસ્થા કરી નથી. પરિણામે, ખાડીમાં માત્ર ધૂળ નાખીને એક કામચલાઉ 'પાળો' બનાવવામાં આવ્યો છે. આ પાળાની સ્થિતિ એટલી ખરાબ છે કે તેના પરથી પસાર થતી વખતે જરા પણ સંતુલન બગડે તો સીધા ખાડીના ગંદા પાણીમાં ખાબકવાનો ભય રહે છે. નાના બાળકો જેઓ શાળાએ જાય છે, ગૃહિણીઓ કે જેઓ દૂધ કે શાકભાજી લેવા નીકળે છે અને વૃદ્ધો આ તમામને દરરોજ જીવના જોખમે રસ્તો પસાર કરે છે. અંધારપટ અને સુરક્ષાના અભાવે અકસ્માતનો ડરદિવસના સમયે તો જેમ-તેમ કરીને લોકો પસાર થઈ જાય છે, પરંતુ ખરી સમસ્યા રાત્રિના સમયે સર્જાય છે. આ નિર્માણાધીન બ્રિજની આસપાસ કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી. રાત્રે ઘોર અંધારામાં લોકો મોબાઈલની ફ્લેશ લાઈટના સહારે આ જોખમી પાળા પરથી પસાર થાય છે. ખાડી સફાઈ માટે દર વર્ષે કરોડો ફાળવાય છેસુરત મહાનગરપાલિકા દર ચોમાસા પહેલા અને વર્ષ દરમિયાન ખાડી સફાઈ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ પ્રિયંકા સોસાયટી પાસેની ખાડીની સ્થિતિ જોતા લાગે છે કે આ રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. ખાડીમાં પ્લાસ્ટિક અને કચરાના મોટા ઢગલા જોવા મળે છે. પાણી એકદમ સ્થિર અને ગંદુ હોવાથી ત્યાં મચ્છરો અને જીવાતોનો ભારે ઉપદ્રવ થયો છે. આસપાસની સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિઆ ગંદકીને કારણે આસપાસની સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડાં સામે આરોગ્ય વિભાગ કેમ મૌન છે? મચ્છરોના લીધે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસો વધવાની પૂરી શક્યતા છે, છતાં ખાડી સફાઈની કામગીરી અહીં શૂન્ય સમાન છે. શ્રમિકોની સુરક્ષા બાબતે પણ કોન્ટ્રાક્ટર ગંભીર નથીમાત્ર રહીશો જ નહીં, પરંતુ ત્યાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા બાબતે પણ કોન્ટ્રાક્ટર ગંભીર નથી. સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યું કે મજૂરોએ સેફ્ટી હેલ્મેટ, જેકેટ કે બૂટ જેવા અનિવાર્ય સાધનો પહેર્યા નથી. સરકારી નિયમો મુજબ નિર્માણ કાર્યમાં સેફ્ટીના સાધનો ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોને નેવે મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે. ‘કોર્પોરેટરોએ રાત્રે અહીં આવીને બેસવુ જોઇએ’સ્થાનિક વિજય પાટીલે જણાવ્યું હતું કે, કોર્પોરેટર લોકોને મારી વિનંતી છે કે તમે થોડું કામને આગળ વધારો અને સુરત મહાનગરપાલિકાને કહો કે ભાઈ એ કામ જલ્દી કરાવો. ‘દરેક મુદ્દા પર પબ્લિક હેરાન છે’સ્થાનિક લોકોને જે તકલીફ 2-3 મહિનાથી છે, એ લોકને ખબર પડે કે આપણે અહિયાં મચ્છર કરડે છે કે નથી કરડતા, 2 મહિનાથી નાના નાના બાળકો બીમાર પડે છે, એ લોકોના દવાખાના ખર્ચ વધી ગયા છે. એ ગરીબ લોકો કઈ કઈ જગ્યા પર પૈસા પૂરા કરશે? તમારા દરેક મુદ્દા પર પબ્લિક હેરાન છે. ‘સ્થાનિક નેતા અને કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી’મારી વિનંતી છે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક નેતાને કે તમે અહિયાં વિઝિટ કરો અને થોડુંક લોકોને સમજાવો. ખાલી તમારા તંત્ર અને હાથમાં સત્તા છે એનો મતલબ એ નથી કે તમારે લોકોની સેવા નથી કરવાની. સેવા કરશો તો લોકો ઓળખશે અને અહિયાંના લોકોને એ પણ ખબર નથી કે અહિયાંના સ્થાનિક નેતા કોણ છે કે કોર્પોરેટર કોણ છે.
ગુજરાતમાંથી હજુ તો શિયાળાની વિદાય થઇ હતી. માર્ચ મહિનાની શરૂઆત હતી ત્યાં લોકોમાં એક જ ચર્ચા જોવા મળી કે આ વખતે ગરમી તો જુઓ. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું.... યલો એલર્ટ જાહેર કર્યું... આવા શબ્દો સામાન્ય રીતે આપણે દર વખતે માર્ચ મહિનાના અંતમાં સાંભળતાં હોઇએ છીએ પણ આ વખતે તો માર્ચની શરૂઆતમાં જ આકરી ગરમી પડી હતી. હવામાન વિભાગે હિટવેવનું એલર્ટ જાહેર કરવું પડ્યું હતું. છેલ્લાં 2-3 દિવસમાં રાજ્યના ઘણા જિલ્લામાં પડેલા દિવસમાં કમોસમી વરસાદે લોકોને આકરી ગરમીથી રાહત તો આપી પણ ખેડૂતોની ચિંતા વધારી દીધી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે માર્ચની શરૂઆતે જ આકરી ગરમી અને હવે માવઠું પડવાનું કારણ શું છે અને ગરમીનો નવો રાઉન્ડ ક્યારથી આવશે? દિવ્ય ભાસ્કરે આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડૉ. મેહુલ વાસાણી અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી આ અંગે માહિતી મેળવી હતી. એકબાજુ ગરમી, બીજીબાજુ માવઠુંગુજરાતમાં આ વખતે ઉનાળો આક્રમક મિજાજ સાથે આવ્યો છે. સામાન્ય રીતે માર્ચના બીજા પખવાડિયામાં દેખાતી 40 ડિગ્રીની ગરમી આ વર્ષે 10મી માર્ચ આસપાસથી જ 42 ડિગ્રીએ પહોંચી ગઇ હતી. માર્ચે ચોમાસાની યાદ અપાવીઘેરાયેલા આકાશ, ચારેતરફ ધૂળની ઉડતી ડમરી અને મિની વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદે એવું વાતાવરણ સર્જ્યું હતું કે જાણે ચોમાસું ન હોય. 2015ના માર્ચ મહિનામાં 5.7 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે 2023ના માર્ચમાં 13.9 અને 2025ના માર્ચમાં 3.9 મીમી વરસાદ નોંધાયો હતો. આ વર્ષે માર્ચમાં પડેલા માવઠાંના કારણે 2026નું વર્ષ છેલ્લા 125 વર્ષોમાં માર્ચમાં સૌથી વધુ કમોસમી વરસાદવાળા ટોપ-10 વર્ષોમાં સામેલ થયું છે. ડસ્ટ સ્ટોર્મના દિવસો વધ્યાંહવામાન વિભાગનો 1981થી 2010 સુધીનો ડેટા કહે છે કે ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મના દિવસોમાં પણ વધારો થયો છે. જેમાં ઉત્તર ગુજરાત પહેલા નંબરે છે. માર્ચની શરૂઆતમાં જ આકરી ગરમીનું કારણ શું?આણંદ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિયેટ ડૉ. મેહુલ વાસાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ અને મેં એવા મહિના છે જેમાં આખા વર્ષમાં સૌથી વધારે તાપમાન નોંધાતું હોય છે પણ છેલ્લા 4 થી 5 વર્ષમાં એકાદ-બે વર્ષને બાદ કરતાં દરેક વર્ષમાં હવેનું તાપમાન 40 ડિગ્રી નોંધાઇ રહ્યું છે. દર વર્ષે એવું બનતું હોય છે કે માર્ચના બીજા પખવાડિયા પછી ગુજરાતમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચતું હોય છે પણ આ વખતે એવું બન્યું છે કે 10 માર્ચની આસપાસથી જ ગુજરાતનું તાપમાન 41 થી 42 ડિગ્રી પર પહોંચી ગયું. ગરમીની સિઝનની શરૂઆતથી જ આટલુ ઊંચું તાપમાન પહોંચવા પાછળનું ગણિત સમજાવતાં ડૉ. વાસાણીએ કહ્યું, પહેલું કારણ તો ગ્લોબલ વોર્મિંગ જ છે પણ બીજા માઇક્રો લેવલના કારણો પણ એટલા જ જવાબદાર છે. આ વખતે દર વખતની સરખામણીએ શિયાળો પણ ખૂબ જ ગરમ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ વખતે હિટવેવના 2 રાઉન્ડ વધુ આવી શકે તેવી આગાહી કરી છે.તેઓ કહે છે કે, સામાન્ય રીતે ઉનાળો 15 ફેબ્રુઆરી થી 15 જૂન સુધી ચાલતો હોય છે. આ દરમિયાન હિટવેવના રાઉન્ડ આવતાં હોય છે. જ્યારે તાપમાન 42 ડિગ્રીથી ઉપર જાય છે ત્યારે તેને આપણે હિટ વેવ તરીકે જોઇએ છીએ. ઉનાળાની એક સિઝન દરમિયાન અંદાજે પાંચેક જેટલા હિટવેવ આવતાં હોય છે. જેમાં એક રાઉન્ડ 8 થી 10 દિવસનો હોય છે પણ આ વખતની પરિસ્થિતિ જોતા આ વખતે હિટવેવના 2 રાઉન્ડ વધારે આવી શકે છે. લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશેઃ પરેશ ગોસ્વામીતેમના મતે, આગામી હિટવેવનો રાઉન્ડ 3 કે 4 એપ્રિલ આસપાસ શરૂ થઇ શકે છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં એવરેજ તાપમાન 41 ડિગ્રી સુધી જશે. બીજા નંબરે પવનની ઝડપનો પણ મુખ્ય રોલ રહેશે. બપોરના સમયે ગરમી વધુ હોવાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિનું સર્જન થશે. ડૉ. મેહુલ વાસાણી ગરમી વહેલી આવવાનું કારણ જણાવતા કહે છે કે, વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાય તો ઉત્તર પશ્ચિમ ભારતમાં સારા પ્રમાણમાં બરફ વર્ષા થાય છે. જેની સીધી અસર ગુજરાત અને પશ્ચિમ ભારત પર વર્તાય છે. આ વખતે નબળા અને ઓછા ડિસ્ટર્બન્સના કારણે સરેરાશ 60% મીમી વરસાદ ઓછો થયો હતો. આ કારણે ભારત મહાદ્વિપમાં તાપમાન જેટલું ઠંડું થવું જોઇએ એટલું ઠંડું થયું નથી. ઉત્તર-પશ્વિમના પવનોની દિશા વહેલી બદલાઇ'બીજું એક કારણ એ પણ છે કે ઉત્તર પશ્ચિમના પવનોની દિશા વહેલી બદલાઇ ગઇ છે. હકીકતમાં આ પવનોની પ્રક્રિયા લાંબી ચાલવી જોઇતી હતી પણ તે માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ બદલાઇ ગઇ છે. જ્યારે સૂકા પ્રદેશમાંથી આવતાં પવનોનું આગમન વહેલું થયું છે એટલે થોડી ઠંડક હોવી જોઇએ તેની સામે ગરમી વહેલી આવી ગઇ છે.' પરેશ ગોસ્વામીએ ગુજરાતના કયા શહેરોમાં પારો વધશે તે પણ જણાવ્યું.તેઓ કહે છે કે, આ વખતે હિટવેવનો પ્રથમ રાઉન્ડ 9 થી 13 માર્ચ દરમિયાન આવ્યો હતો. આ દરમિયાન આપણે એક કરતાં અનેક જગ્યાએ 41 કે તેનાથી વધારે ડિગ્રી તાપમાન નોંધાયેલું જોયું છે. એ પછી તાપમાન નીચું આવ્યું બીજી તરફ માવઠું પડ્યું હતું એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 'માવઠાં પછી હવે ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે પણ માર્ચ મહિનાના બાકીના દિવસો દરમિયાન હવે વાતાવરણ એવરેજ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં નોર્મલ રહેશે. જ્યારે બાકીના આઇસોલેટેડ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.' અર્બનાઇઝેશનથી તાપમાન વધ્યુંહાલમાં મુખ્ય શહેરોમાં વધી રહેલાં તાપમાન અંગે પૂછતાં ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, આ પાછળનું મુખ્ય કારણ અર્બનાઇઝેશન છે. કેમ કે શહેરોમાં હાલ કોંક્રિટના સ્ટ્રકચરો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. જેની સામે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેથી આ સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મુખ્ય શહેરોમાં અર્બનાઇઝેશનના કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં માવઠાં આવ્યા હોત તો ગરમી ન વધતજો તાપમાન 40 થી 41 ડિગ્રીએ પહોંચી ગયું હતું તો પછી અચાનક ગુજરાતમાં માવઠાંની અસર કેવી રીતે વર્તાઇ તે અંગે ડૉ. વાસાણી કહે છે કે, આ ઉત્તર ભારતની અસરના કારણે બન્યું છે. પાકિસ્તાનથી રાજસ્થાન સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું. જેના કારણે માવઠું થયું હતું પણ જો આવા 2-3 માવઠાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવ્યા હોત તો કદાચ તાપમાન આટલું ઊંચું ન ગયું હોત. વોર્મ નાઇટનું પ્રમાણ વધ્યુંપરેશ ગોસ્વામીએ તાપમાન વધવા પાછળ એક કરતાં વધુ કારણોને જવાબદાર ગણાવ્યા.તેમણે ઉમેર્યું કે, છેલ્લા 3 દાયકામાં બે ડિગ્રી સુધી તાપમાનમાં વધારો નોંધાયો છે. તાપમાનમાં થઇ રહેવા વધારા પાછળ એક કરતાં વધારે કારણો જવાબદાર છે. આ સમસ્યાથી માત્ર ભારત જ નહીં પણ વિશ્વના લોકો પરેશાન છે. બીજી તરફ કોંક્રિટના જે જંગલો બની રહ્યાં છે તેના કારણે વોર્મ નાઇટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દિવસની જેમ રાત્રે પણ ગરમીનો અનુભવ થશે. એક બાજુ વૃક્ષોને કાપવાનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી બાજુ ખેતીમાં પણ આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી ગયો છે. ડો. વાસાણી રાતના વધતાં તાપમાનને ચિંતાજનક ગણાવે છે. તેમણે કહ્યું, દિવસ દરમિયાન વધતાં મહત્તમ તાપમાન પર નિયંત્રણ નથી. રાતનું તાપમાન શિયાળામાં બહુ મહત્વનું હોય છે. જો દિવસની સાથોસાથ રાતનું તાપમાન પણ વધતું જશે તો તે શિયાળુ પાક માટે વધારે ખતરારૂપ ગણી શકાય. 100 વર્ષમાં ન વધ્યું તેટલું તાપમાન 20-25 વર્ષમાં વધ્યુંડૉ. વાસાણી વધુમાં કહે છે કે, 20મી સદીમાં તાપમાનમાં આટલો બધો વધારો જોવા નહોતો મળતો પણ 21મી સદી જ્યારથી શરૂ થઇ ત્યારથી દરેક 10 વર્ષના ગાળામાં લગભગ 0.4 થી 0.5 ડિગ્રી સુધી તાપમાન વધી રહ્યું છે. છેલ્લા 100 વર્ષમાં જેટલું તાપમાન નથી વધ્યું એટલું છેલ્લા 20 થી 25 વર્ષમાં વધ્યું છે. માર્ચના અંત સુધી રાહત રહેશે'હમણાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું તેવું ફરીથી થાય અને માર્ચના બાકીના દિવસો તેમજ એપ્રિલ મહિનામાં જો વાતાવરણમાં અચાનક પલટો આવે તો તાપમાન પર નિયંત્રણ થઇ શકે છે. જો વાતાવરણ સતત ચોખ્ખું રહે તો તાપમાનમાં વધારો થવાની શક્યતા દેખાય છે. 15 એપ્રિલથી મે મહિનામાં તાપમાન વધુ ઊંચું જઇ શકે છે પણ માર્ચના અંત સુધીમાં તાપમાનમાં કોઇ ખાસ વધારો થાય તેવું નથી દેખાતું.' પરેશ ગોસ્વામી કહે છે કે, વૈજ્ઞાનિક રીતે જોઇએ તો એક વ્યક્તિ દીઠ 16 ઝાડ હોવા જોઇએ તો જ આ તાપમાન નોર્મલ થઇ શકશે બાકી તો જે રીતે કોંક્રિટના જંગલો બની રહ્યાં છે તેની અસર વધવાની જ છે. જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ તેની અસર પણ માણસના શરીર પર થઇ રહી છે. ડૉ. મેહુલ વાસાણીએ જણાવ્યું, વૈશ્વિક લેવલે વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે. આપણે જેટલું બને તેટલું વૃક્ષારોપણ કરવું જોઇએ. વીજળીનો પણ બચાવ કરવો જોઇએ કેમ કે વૈશ્વિક આબોહવા બદલવા માટે વીજળી પણ એક મુખ્ય પરિબળ છે. આપણે જેટલી જરૂર હોય તેટલી જ વીજળીનો ઉપયોગ કરવો જોઇએ. પાણીનો બચાવ પણ કરવો જોઇએ. આટલું કરવાથી વરસાદની અનિયમિતતા અને તાપમાનમાં એકદમ થતા વધારાને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
એજન્સીની બેદરકારીથી છાત્રો પરેશાન:SVNIT મેસના રસોઈયા રફુચક્કર થઈ જતાં 250 વિદ્યાર્થીઓ ભૂખ્યા રહ્યા
SVNITના ભાભા ભવનની મેસ-2માં રસોઈયાઓ અને એજન્સીનો મેનેજર કોઈને જણાવ્યા વિના રાતોરાત પલાયન થઈ જતાં 250 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગેરવ્યવસ્થાને કારણે જમવા પહોંચેલા વિદ્યાર્થીઓએ ભૂખ્યા રહેવું પડ્યું હતું અને હોબાળો મચાવતા વોર્ડન તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી ભાભા ભવનની જ બીજી મેસમાં ભોજન તૈયાર કરાવી વિદ્યાર્થીઓને જમાડ્યા હતા, જોકે આ અંધાધૂંધીમાં ભોજન એક કલાક મોડું મળ્યું હતું. એજન્સીને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છેમેસ એજન્સીની આ પ્રકારની ગંભીર લાપરવાહી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને સમયસર અને પૌષ્ટિક ભોજન મળે તે અમારી પ્રાથમિકતા છે. રસોઈયાઓ અને મેનેજરની પલાયન વૃત્તિ તેમજ અગાઉની ફરિયાદોને ધ્યાને લઈ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. > રાકેશ મૌર્ય, એસોસિએટ ડીન (સ્ટુડન્ટ વેલફેર), SVNIT વિદ્યાર્થીઓ નિરિક્ષણ કરી શકે
10 હજાર કાઉન્સેલર્સની ઓનલાઇન ટેસ્ટ થશે:વિદ્યાર્થીઓના કાઉન્સેલર કેટલા તૈયાર તે હવે એઆઇ નક્કી કરશે
સ્કૂલમાં ભણતા બાળકો માનસિક તણાવ કે મૂંઝવણના સમયે કાઉન્સેલરની મદદ લેતા હોય છે. જોકે, આ કાઉન્સેલર્સ પોતાની જવાબદારી નિભાવવા કેટલા સક્ષમ છે તેનું મૂલ્યાંકન હવે AI દ્વારા કરવામાં આવશે. CBSE દ્વારા સુરત સહિત દેશભરની સ્કૂલોના 10,000 કાઉન્સેલર્સ માટે ‘ઓનલાઇન રિમોટ ઇન્વિજિલેશન એક્ઝામ’ ફરજિયાત કરવામાં આવી છે. આ પરીક્ષા ‘DIGI-EXAM’ નામના AI પ્લેટફોર્મ પર લેવાશે. જેમાં પરીક્ષાર્થીની દરેક હિલચાલ પર ડિજિટલ નજર રાખવામાં આવશે, જેથી પ્રક્રિયા પારદર્શક રહેશે. મારા કામની વાતવિદ્યાર્થીઓ અને વાલીઓને થનારા ફાયદા
મધ્ય-પૂર્વમાં યુદ્ધને લઈ ઊર્જા કટોકટી ઊભી થતાં પાલિકાએ શહેરના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલેક્ટર અને અર્બન ડેવલપમેન્ટ વિભાગની સૂચના મુજબ હવે આગામી 4 અઠવાડિયા સુધી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ પાસેથી રોડ રિસ્ટોરેશન અને પરમિશન ચાર્જ વસૂલાશે નહીં, જેથી ગ્રાહકોને નવા જોડાણ ઝડપથી મળી રહેશે. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગેસ નેટવર્કના વિસ્તરણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ચાર્જિસ માફ કરવા. આ સંદર્ભે ગત તા.16 અને 18 માર્ચના રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ મળી હતી, બાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દ્વારા 20મી માર્ચે સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. મહાપાલિકાના તમામ ઝોનલ ચીફ અને વિભાગીય વડાઓને આ આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે. જો ગેસ કંપનીઓ દ્વારા રસ્તાનું રિપેરિંગ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો સંબંધિત એજન્સી સામે નિયમ અનુસાર પગલાં પણ લેવામાં આવી શકે છે. ઝોન કચેરીઓએ 1 દિવસમાં મંજૂરી આપવી પડશેઅધિકારી સૂત્રો મુજબ, નવા આદેશ પ્રમાણે, જે રસ્તા હાલ ‘ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ’ (DLP) હેઠળ છે, ત્યાં ખોદાણ માટે જે-તે ઝોન અથવા વિભાગે માત્ર 24 કલાક (દિન-1)માં જ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેથી ગેસલાઈન નાંખવાની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય. ગેસ કંપનીએ ગુણવત્તાની બાંયધરી આપવી પડશેપાલિકાએ જણાવ્યું હતું કે, આ રાહતો શરતોને આધીન આપવામાં આવી છે. ગેસ કંપનીઓએ રોડ રિસ્ટોરેશન ચાર્જ તો નથી ભરવાનો, પરંતુ ખોદકામ કરાયા બાદ રસ્તાને પૂર્વવત કરવાની જવાબદારી તેમની પોતાની રહેશે. આ સાથે જ ગેસ કંપનીઓએ બાંયધરી આપવી પડશે કે તેઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ રસ્તાનું સમારકામ કરશે. જે-તે ઝોનના અધિકારીઓએ આ કામગીરી પર દેખરેખ રાખવાની રહેશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:400 મિલો સપ્તાહમાં 2 દિવસ બંધ, ગેસની ખેંચથી રેસ્ટોરાં બંધ થવા માંડી
શહેરભરમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે નાના માણસો, દુકાન-રેસ્ટોરાંથી માંડીને મિલ માલિક સુધી તમામ વર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પીએનજી પાઈપલાઈનની જગ્યાએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોટલ, રેસ્ટોરાં અને ચાની લારીઓ ચલાવતા નાના ધંધાર્થીઓને ગેસ મળતો નથી, જેથી અનેક જગ્યાએ ધંધા બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં 400 પ્રોસેસિંગ મિલોએ સપ્તાહમાં 2 દિવસ બંધ રાખવા નિર્ણય લીધો છે. મિલો માટે કોલસો મોંઘો મળતો હોવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જ્યારે મિલોના કાનદારોને રસોઈ માટે ગેસની બોટલો ન મળતાં સંચાલકો દ્વારા મિલોમાં જ રસોડાં શરૂ કરવાની ફરજ પડી છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર ગેસ સપ્લાય પર પડતાં હોટલ-રેસ્ટોરાં, લારીઓ, ટેક્સટાઈલ મિલો અને કારીગરો સહિત તમામ લોકો મુશ્કેલીનો સામના કરી રહ્યા છે. કામદારોને ઘર માટે ગેસ ન મળતાં પાંડેસરા અને સચિન GIDCના ઉદ્યોગકારોએ રસોડાં શરૂ કર્યાશહેરમાં જ્યાં પાઈપલાઈનથી ગેસ પુરવઠો મળી રહ્યો છે ત્યાં ગેસની અછત નથી પરતું જ્યાં આ સુવિધા નથી ત્યાં સ્થિતિ કપરી બની રહી છે. શહેરના હોટલ-રેસ્ટોરાં એસોસિએશનના ઉપપ્રમુખ સનત રેલિયાએ કહ્યું હતું કે, ‘જ્ઞેસની અછતને કારણે મુશ્કેલી તો પડી જ રહી છે, પરંતુ ઘણી હોટલ રેસ્ટોરાંના સંચાલકો પોતાની રીતે પ્રત્યનો કરી રહ્યા છે. ગેસ લાઈન જલદી મળે તે માટે અમારી પાસે હોટલ-રેસ્ટોરાંની 40 અરજીઓ આવી છે, જે અમે ગુજરાત ગેસ કંપનીને આપી છે. વહેલી તકે જોડાણો મળે એવી અપેક્ષા છે.’ કામદારો પરિવાર માટે પાર્સલ પણ લઈ જાય છેપાંડેસરા જીઆઈડીસી એસો.ના પ્રમુખ કમલ તુલસ્યાએ કહ્યું કે, ‘એસોસિએશનની કેન્ટિન ચાલે છે, જેમાં સામાન્ય દિવસોમાં 2 હજાર લોકો ભોજન કરતા હતા, પરંતુ કારીગરોને ગેસની બોટલો ન મળતાં હાલમાં 5 હજારથી વધુ લોકોનું ભોજન જીઆઈડીસી કેન્ટીનમાં બની રહ્યું છે. કારીગરો જમીને પોતાના પરિવાર માટે પાર્સલો પણ લઈ જાય છે. અંદાજે 2000થી વધારે પાર્સલો જાય છે.’ ટેક્સટાઈલ મિલોની સ્થિતિ બોટલ ન મળતાં 40 રેસ્ટોરાંએ પાઇપ ગેસ માટે અરજી કરી, મોટા વેપારીએ લોચાની પાંચ બ્રાંચ બંધ કરવી પડીકોમર્શિયલ ગેસની અછતથી ઉદ્યોગો અને કામદારોની સ્થિતિ કફોડી બની છે. સચિન નોટિફાઈડના ચેરમેન મિતુલ મહેતાએ કહ્યું કે, ‘હાલ કારીગરોને બોટલોની સમસ્યા છે, જેથી અમારી 3 મિલોમાં રસોડા શરૂ કરાયા છે, જેમાં બપોર અને રાતનું ભોજન ફ્રીમાં અપાય છે. 100 લોકો ઘરે પાર્સલ પણ લઈ જાય છે.’ ગેસનો વધુ વપરાશ થતો હોય તેવી આઇટમો મેનુમાંથી ગાયબ થઈ ગઈ વેપારીઓના મંતવ્યો વેપાર ઓક્સિજન પર આવી ગયો છે‘5 દિવસ ચાલે તેટલો ગેસ છે. પરિચિતોને ફોન કરીને બોટલ માંગી છે, પણ ક્યાંયથી મળી નથી. હાલ અમારો વેપાર ઓક્સિજન પર છે.’ — દિપ્તી ઠક્કર, દિપ્તી દિલખુશ દાબેલી, અલથાણ 20માંથી 5 બ્રાંચ બંધ કરવી પડી ‘અમારી 20 બ્રાંચ છે, પરંતુ હાલ ગેસની સમસ્યાને કારણે અમારી 5 બ્રાંચ હાલ પૂરતી બંધ કરી છે, જ્યારે અમુક બ્રાંચમાં ઈલેક્ટ્રિક ઓવનની વ્યવસ્થા કરવી પડી છે.’ — ગોલાપભાઈ, ગોપાલ લોચા લાઈવ વાનગીનો ભાવ વધારાશે ‘ગેસની અછતથી મુશ્કેલી પડી રહી છે. કેફેના મેનુમાં 300થી પણ વધારે વાનગીઓ છે. લાઈવ વાનગીઓના 5% ભાવ વધારવા વિચારી રહ્યા છીએ.’ — લાલજી આહીર, જલારામ ફૂડ કેફે
સુરત એરપોર્ટ પર 7 વર્ષ પહેલાં શરૂ થયેલી સુરત-શારજાહ ફ્લાઇટ કાયમ માટે બંધ થવા જઈ રહી છે. તેનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ફ્લાઇટ અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે 27 ફેબ્રુઆરીથી જ રદ છે. લાંબા પ્રયત્નો બાદ 16 ફેબ્રુઆરી 2019ના રોજ આ ઉડાન શરૂ કરવામાં આવી હતી. હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ (IX 273) અને દુબઈ-સુરત (IX 274) ની સાથે-સાથે ઇન્ડિગોની સુરત-દુબઈ (6E 1507) અને દુબઈ-સુરત (6E 1508) ફ્લાઇટ પણ અત્યારે બંધ છે. આવા સમયે સુરત-શારજાહ ફ્લાઇટ કાયમી ધોરણે બંધ થવી એ મુસાફરો માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે. સુરતથી માત્ર દુબઈ માટે જ સેવા ચાલુરાખવા એરલાઈનનો નિર્ણયસૂત્રો અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે સુરતથી માત્ર દુબઈ માટે જ પોતાની સેવા ચાલુ રાખવા માંગે છે, જેથી શારજાહ રૂટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયથી સ્થાનિક મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરતવાસીઓની માંગ છે કે, આ ફ્લાઇટને બંધ કરવામાં ન આવે અને વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે. તેમનું માનવું છે કે આ ફ્લાઈટ માત્ર સુવિધા જ નહોતી આપતી, પરંતુ શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખને પણ મજબૂત બનાવતી હતી. મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હતો છતાં બંધ કરવા નિર્ણયWWWAS ના સભ્ય સંજય જૈને આ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ માત્ર મુસાફરીનું સાધન નહોતી, પરંતુ સુરતવાસીઓની લાગણીઓ સાથે જોડાયેલી હતી. તેમણે ઉમેર્યું કે આ ફ્લાઇટને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હતો અને તેનું બુકિંગ પણ સંતોષકારક હતું તેમ છતાં તેને બંધ કરવી એ એક દુઃખદ નિર્ણય છે.
નકલી યોગગુરુની કરાશે સઘન તપાસ:પ્રદીપ ગુરુજી સહિત 7 આરોપીના ઘરે તપાસ માટે ટીમ આજે સુરતમાં
રૂ. 500ની નકલી નોટોના કારોબારમાં પકડાયેલા સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરુજી સહિત 7 આરોપીના ઘરે સર્ચ કરવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સૂરત જશે. જોકે સાતેય આરોપીને સાથે રાખીને સૂરત લઈ જવામાં જોખમ હોવાથી પોલીસ આરોપીઓને સાથે રાખ્યા વગર જશે. ક્રાઈમ બ્રાંચ સોમવારે ઈડી અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરશે. પોલીસ કમિશનરે શનિવારે ક્રાઇમ બ્રાંચમાં જઈને સાતેયની પૂછપરછ કરી હતી. આ નકલી નોટ સુરત સરથાણામાં રહેતા મુકેશ ઠુમ્મરના ઘરે છપાતી હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડતાં નોટ છાપવાનું મશીન, કટર મશીન તેમજ નોટ છાપવાનો કાગળ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે મુકેશ સિવાયના અન્ય 6 આરોપીના ઘરે સર્ચ બાકી છે. આથી રવિવારે ટીમ સુરત જશે. જોકે સાતેય આરોપીઓ વગદાર હોવાથી તેમને સાથે લઈને જવા હિતાવહ નહીં હોવાથી તેમને સાથે રાખ્યા વગર જ પોલીસ સૂરત તપાસ માટે જશે. જ્યારે આરોપીઓ નકલી નોટો છાપીને વહેતા કરવાની સાથે પૈસા બ્લેક એન્ડ વ્હાઈટ કરવાનું પણ રેકેટ ચલાવતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચ દ્વારા આ અંગે સોમવારે ઈડી અને આઈટીને પણ લેખિતમાં જાણ કરવામાં આવશે. જેથી આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાંચની સાથે આ બંને એજન્સીઓ પણ આ સાતેય આરોપીઓની તપાસ કરશે. નકલી નોટમાં પણ 12થી વધુ સિક્યુરિટી ફિચર્સ હતાંસ્ટેશનરી પેપરની આડમાં કરન્સી પેપર આવતા હતા. પ્રદીપ અને ટોળકી જે નકલી નોટો બનાવી હતી, તેમાં 12થી વધુ સિક્યુરિટી ફિચર્સ હતા. જેના માટે તેમણે એઆઈ તેમજ ચેટ જીટીપીની મદદ લીધી હતી. જ્યારે ચાઈનાથી અત્યારસુધીમાં સ્ટેશનરી પેપરની આડમાં 3 વખત કરન્સી પેપર આવ્યા હતા. જ્યારે પેપરનું એક કન્સાઈમેન્ટ રૂ.1.50 લાખમાં આવતું હતું. પ્રદીપ જાન્યુઆરીમાં કરન્સી પેપર લેવા ચીન ગયો હતોપોલીસને જાણવા મળ્યું હતું કે નોટ માટેનો કરન્સીનો કાગળ લેવા માટે પ્રદીપ ગુરુજી જાન્યુઆરી મહિનામાં ચાઈના ગયો હતો. ત્યાં તે 5 દિવસ સુધી રોકાયો હતો અને કરન્સી નોટની ડિલ કરતા એજન્ટો સાથે મીટીંગ કરી હતી. આ સાથે તેણે ચાઈનામાં ગંગજાઉ અને કીંગડાઉ વિસ્તારની મુલાકાત લીધી હતી.
વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી:ફિનલેન્ડ અને બોસ્નિયાના વર્ક વિઝાના બહાને 16 લાખની ઠગાઈ
મુંબઈના એરક્રેન ઓવરસીસના 2 ભાગીદાર અને મૅનેજરે 6 ગ્રાહકને ફિનલેન્ડ અને બોસ્નિયાના વર્ક વિઝા અપાવવાના બહાને રૂ. 16 લાખ લીધા હતા. જોકે 3થી 4 મહિનામાં 100 ટકા વિઝા અપાવવાની બાંહેધરી આપી હોવા છતાં દોઢ વર્ષ પછી પણ વિઝા આવ્યા નહોતા. આથી ઘાટલોડિયા પોલીસે કંપનીની મહિલા સહિત 2 ભાગીદાર અને મૅનેજર સાથે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નારણપુરાના વિઝા સલાહકાર દેવાંગ ઉપાધ્યાયે મુંબઈની વિઝા કન્સલ્ટન્ટી આરક્રેન ઓવરસીસના માલિક સોનાલી ચંદાણી, દિશાંત મણિયાર અને મૅનેજર રાફેલ રાજપૂત સાથે વિઝા માટે વાત કરી હતી. ત્રણેયે 3થી 4 મહિનામાં વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરીને વિઝાની કૉપી બતાવી હતી. આથી દેવાંગભાઈએ તેમના 6 ગ્રાહકના વિઝાની ફાઈલ આપી હતી સાથે જ રૂ. 16 લાખ આપ્યા હતા. જોકે દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં દેવાંગભાઈના 6 ગ્રાહકના વિઝા આવ્યા ન હતા.
વૈષ્ણવ સમાજના વ્યાપારિક કૌશલ્ય અને એકતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાના હેતુથી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) અને વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા સંયુક્તપણે 18 અને 19 એપ્રિલે સાયન્સ સિટીમાં વિશાળ મેગા ઇવેન્ટ ‘VIBES 2.0’નું આયોજન કરવામાં આવ્યું છે. કન્વિનર દક્ષેશભાઈ શાહે કહ્યું હતું કે પ્રથમ વાર યોજાયેલી મેગા ઇવેન્ટને સફળતા મળતાં રૂ. 2.50 કરોડના ખર્ચે દ્વિતીય સંસ્કરણનું આયોજન કરાયું છે. પ્રથમ એક્સ્પોમાં 15 હજારથી વધુએ મુલાકાત લીધી હતી અને આ વખતે 30 હજારથી વધુ મુલાકાતીઓ આવશે, તેવી અપેક્ષા છે. આ વખતે મધ્ય અને ઉત્તર ગુજરાતના વૈષ્ણવ વ્યાવસાયિકોને જોડવાનો પણ પ્રયાસ કરાયો છે. VIBES 2.0માં 150થી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને રિટેલ સ્ટોલ્સ દ્વારા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે, તેમ કન્વિનર કુશલભાઈ શાહે કહ્યું હતું. એક્સ્પોમાં ગુજરાત અને દેશ-વિદેશમાંથી પ્લાસ્ટિક, બાંધકામ, ડાયસ્ટફ સહિતના 12,000થી વધુ અગ્રણી વ્યવસાયિકો હાજરી આપે તેવી અપેક્ષા છે. વ્યાયવાસિકોને બિઝનેસ કનેક્ટ અને માર્કેટિંગ પ્લેટફોર્મ મળશે. નાના અને મધ્યમ ઉદ્યોગકારોને હજારો લોકો સમક્ષ પોતાનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવાની, નવા ગ્રાહકો સાથે સીધો સંવાદ સાધવાની અને પોતાની બ્રાન્ડને નવી વૈશ્વિક ઓળખ આપી શકવાની તક મળશે. બિઝનેસ સમિટથી ધાર્મિક ગુરુ સંમેલન સુધીનાં આયોજનોબે દિવસીય કાર્યક્રમમાં માત્ર વેપાર જ નહીં પરંતુ જ્ઞાન અને આધ્યાત્મિકતાનો પણ અદ્ભુત સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં પ્રભાવશાળી બિઝનેસ સમિટ, પ્રેરણાદાયક મોટિવેશનલ સેમિનાર્સ અને દેશના ખ્યાતનામ એમિનેન્ટ સ્પીકર્સ આધુનિક વ્યાપારિક વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપશે. સાથે જ, સમાજના પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્યોના સાંનિધ્યમાં યોજાનારા ‘ધાર્મિક ગુરુ સંમેલન’ ઉપસ્થિતોમાં આધ્યાત્મિક ઊર્જા અને નૈતિક મૂલ્યોનું સિંચન કરશે. સમકાલીન મુદ્દાઓ પર વિચારોને દિશા આપતી ડિબેટ્સ અને એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ્સ પણ હશે. વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ખાસ ‘ભવ્ય નેટવર્કિંગ ડિનર’નું આયોજન કરાયું છે. તેના થકી નવા વ્યવસાયિક સંબંધો અને ભાગીદારી માટેની અનેક તક મળશે.
સંકલનની બેઠકમાં ભાજપના ધારાસભ્યનો આક્ષેપ:ગાર્ડનમાં પાણી છાંટીને પ્રદૂષણ ઓછું દેખાડવાનો મ્યુનિ.નો ખેલ
અમદાવાદમાં વધતા પ્રદૂષણ મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિ. તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, તંત્ર ચાર રસ્તાને બદલે ગાર્ડનમાં પ્રદૂષણ માપવાના યંત્રો લગાવી, ત્યાં પાણીનો છંટકાવ કરી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નીચો બતાવી ગેરમાર્ગે દોરે છે. મુંબઈની જેમ તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર ‘મીસ્ટ મશીન’ અને ધૂળ રોકવા પાણીનો છંટકાવ ફરજિયાત કરવાની તેમણે માંગ કરી છે. બેઠકમાં ધારાસભ્ય કૌશિક જૈને પણ કાલુપુરથી દિલ્હી દરવાજા સુધીના ટ્રાફિક નિવારણ માટે નવો બ્રિજ બનાવવાની ફરી માગણઈ કરી હતી.
લ્યો બોલો!:શહેરમાં કેટલા એલપીજીધારકો? પુરવઠાવિભાગ પાસે આંકડા નથી
એલપીજીની અછત વચ્ચે અમદાવાદ પુરવઠા વિભાગ અને કલેક્ટર કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં કુલ કેટલા એલપીજી સિલિન્ડર ધારકો છે તેના સ્પષ્ટ આંકડા જ નથી. કટોકટી સમયે આંકડા ન હોવાના કારણે પુરવઠા વિભાગ અને કલેક્ટર કચેરી પાસે માઇક્રો પ્લાનિંગની જરૂર છે પણ થઇ શકતું નથી. સિલિન્ડર બુક કરાવ્યાના 15 દિવસ બાદ પણ લોકોને મળતા નથી. આ અંગે પુરવઠા વિભાગના નાયબ કલેક્ટરને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે મારી પાસે આવી કોઇ આંકડકીય માહિતી નથી તમે કલેક્ટર પાસેથી મેળવી શકો છો. કલેક્ટર સુજીત કુમારને જવાબ નથી આપવું તેથી તેઓએ કહ્યું અધિક નિવાસી કલેક્ટર ભાવિન સાગરને મળી લો. અને અધિક નિવાસી કલેક્ટર જણાવે છે કે આ માહિતી પુરવઠા વિભાગ પાસે હોય અમારી પાસે ન હોય. ડેટા હોય તો રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બને ત્રણેય ગેસ કંપનીએ આંકડા આપવાની ના પાડીમારી પાસે એલપીજી ધારકોના ચોક્કસ આંકડા નથી. ત્રણેય ગેસ કંપની પાસે માહિતી માગી હતી પણ તેમણે ના પાડી. તમે કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકો છો. - સરયુ ઝણકાર, નાયબ કલેક્ટર, પુરવઠા વિભાગ, અમદાવાદ
ટ્રાન્સપ્લાન્ટ બાદની જીવનરક્ષક દવા પર સવાલ:ડોક્ટરોનો પત્ર - ટેક્રોલિમસથી આડઅસર થાય છે
સિવિલની કિડની હોસ્પિટલ (આઈકેડીઆરસી)માં કિડની, લિવર કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને અપાતી ટેક્રોલિમસ નામની દવાની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં ખામી અંગે હોસ્પિટલના ડોક્ટરોએ ડિરેક્ટરને પત્ર લખીને દવાની બ્રાન્ડ બદલવાની માગ કરતાં વિવાદ સર્જાયો છે. જોકે ડોક્ટરોએ લખેલા પત્રમાં કઈ કંપનીની દવાથી, કેટલા દર્દીને આડઅસરનો કોઈ ઉલ્લેખ નથી. જોકે 1 એપ્રિલથી અલગ અલગ ડોઝની એક જ કંપનીની દવા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરી હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું છે. આઈકેડીઆરસીના ડોક્ટરોએ પત્ર લખીને જણાવ્યું હતું કે, દર્દીને અપાતી ટેક્રોલિમસ દવાની આડઅસરથી લોહીમાં દવાનો ઓછો સ્તર જરૂરી માત્રા કરતાં ઓછો હોવાથી કિડની રિજેક્શનનું જોખમ, દવાનો ડોઝ વધારવાથી શરીરમાં ઝેરી અસર, હોસ્પિટલમાં લાંબું રોકાણ તેમ જ દવાની અસર બરાબર ન થવાને કારણે દર્દીઓને વધુ હોસ્પિટલાઇઝેશનથી આર્થિક બોજ વધે છે. પત્ર લખનારામાંથી 1 ડોક્ટર કંપની માટેની પસંદગી કમિટીમાંટેક્રોલિમસ દવાના ટેન્ડર અને બીડની ચર્ચા કરવામાં, દવાની આડઅસર અંગેના પત્રમાં સહી કરનારા ડોક્ટર જ એક્સપર્ટ તરીકે છે. ટેન્ડર પાસ થયા બાદ 1 એપ્રિલથી એક જ કંપની દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. ડોક્ટર, દર્દીની બેદરકારથી ડોઝમાં વધઘટથી આડઅસરઆ એવી દવા છે, જેમાં ડોક્ટર, દર્દીની બેદરકારીથી ડોઝમાં સહેજ વધારો કરાય તો ટોક્સિક લેવલ વધી જાય છે. ડોઝમાં ઘટાડો કરવાથી સામાન્ય કરતાં એકદમ લેવલ ઓછું થઈ જાય છે. એનો અર્થ એવો નથી કે આ દવા ખરાબ છે. - ડો. પ્રાંજલ મોદી, ડિરેક્ટર, આઈકેડીઆરસી કઈ કંપનીની દવા ખરાબ છે? તે ડોક્ટરોએ સ્પષ્ટ ન કર્યુંહોસ્પિટલમાં વપરાતી કોન્કર્ડ, ઇન્ટાસમાંથી કઈ કંપનીની દવા ખરાબ છે તેનો પત્રમાં ઉલ્લેખ નથી. બે કંપનીમાંથી કઈ કંપનીની દવા ખરાબ છે, કેટલાને આડઅસર થઈ તે પૂછતાં ડોક્ટરોએ ચુપકીદી સાધી લીધી હતી.
શહેરના લોકોને મળતું પીવાનું પાણી સાત તબક્કાની વૈજ્ઞાનિક પ્રક્રિયા બાદ પૂરું પાડવામાં આવે છે. મ્યુનિ. પાસે જાસપુર, રાસ્કા, કોતરપુર એમ ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેની કુલ ક્ષમતા 17.5 કરોડ લિટર છે, જ્યારે શહેરનો દૈનિક પાણી વપરાશ આશરે 17.1 કરોડ લિટર છે. નર્મદા કેનાલમાંથી આવતું રો-વોટર સૌપ્રથમ જાળીઓમાંથી પસાર કરાય છે, જેથી ઘાસ, લાકડાં, કપડાં સહિતની અશુદ્ધિઓ દૂર થાય. ત્યાર બાદ પાણીમાં રહેલી ટર્બિડિટી ઘટાડવા ફટકડીનો ઉપયોગ થાય છે, જેથી સૂક્ષ્મ કણો એકબીજા સાથે જોડાઈ મોટા કણોમાં ફેરવાય છે. પછી પાણી ફ્લોક્યુલેટર અને ક્લેરિફાયર પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ તળિયે જમા થાય છે અને સ્લજ અલગ કરાય છે. ત્યાર બાદ પાણી ફિલ્ટર યુનિટમાં મોકલી સેન્ડ અને ગ્રેવેલ બેડ દ્વારા બાકી રહેલાં કણો પણ દૂર કરાય છે. બાયોલોજિકલ ઈમ્પ્યુરિટીઝ દૂર કરવા લિક્વિડ ક્લોરિન દ્વારા પ્રી-ક્લોરિનેશન, ઇન્ટરમીડિયેટ ક્લોરિનેશન અને પોસ્ટ-ક્લોરિનેશન એમ 3 તબક્કાની પ્રક્રિયા કરવામાં આવે છે. 1750 MLDમાંથી હવે માત્ર 80 MLD પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવે છેઅમદાવાદમાં રોજ 1750 એમએલડી પાણીના સપ્લાય પૈકી હવે માત્ર 80 એમલએડી ભૂગર્ભમાંથી લેવાય છે, જ્યારે 1700 એમએલડીનો જથ્થો નર્મદા અને શેઢી નદીના સરફેસ વોટરનો છે. વર્ષ 2030 સુધીમાં જરૂરિયાત 2450 એમએલડી પહોંચશે, જે માટે જાસપુર ખાતે કામગીરી ગતિમાં છે. જાન્યુઆરી 2027થી શહેરમાં વધારાનું 200 એમએલડી પાણી મળતું થશે. ગોતાથી સરખેજ પટ્ટામાં અગાઉ 2200 ટીડીએસનું ક્ષારયુક્ત પાણી પીવાતું હતું, જે હવે 180 ટીડીએસ ધરાવતું શુદ્ધ નર્મદાનું નીર બની ગયું છે. જળ સંચય માટે મ્યુનિ.ની 325 બિલ્ડિંગો અને વિવિધ ઝોનની સોસાયટીઓમાં પરકોલેશન વેલ દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ કાર્યરત છે. - દેવાંગ દરજી, એડિશનલ ચીફ એન્જિનિયર, વોટર પ્રોડક્શન પાણીના શુદ્ધીકરણના આ મુખ્ય તબક્કા છે
રાંધણ ગેસની તંગીની અસર:: આંબલી સ્ટેશને તૈયાર રેલ કોચ રેસ્ટોરાંનું લોકાર્પણ ન થઈ શક્યું
અમદાવાદના આંબલી રોડ રેલવે સ્ટેશન પર શહેરની પ્રથમ ‘રેલ કોચ રેસ્ટોરાં’ તૈયાર થઈ ગઈ છે. રેલવેના જૂના કોચને આધુનિક ડિઝાઇન આપી અહીં મુસાફરી વગર જ ચાલતી ટ્રેન જેવો અનુભવ આપતું ડાઇનિંગ સ્પેસ બનાવાયું છે. વૈશ્વિક સ્થિતિને કારણે કોમર્શિયલ ગેસ સપ્લાયમાં મુશ્કેલી પડતા તેનું લોકાર્પણ મુલતવી રખાયું હતું, ગેસની સમસ્યા દૂર થતાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ રેસ્ટોરાં 24 કલાક ચાલુ રહેશે, જ્યાં મુસાફરો અને સ્થાનિકો ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણી શકશે. અહીં ઇનડોર-આઉટડોર ડાઇનિંગની સાથે બાળકો માટે ફન ઝોન અને વિશાળ પાર્કિંગ સુવિધા પણ છે. આગામી સમયમાં ગાંધીગ્રામ, સાબરમતી અને મહેસાણા જેવા સ્ટેશનો પર આ પ્રકારની રેસ્ટોરાં શરૂ કરવાની યોજન છે. બાળકો માટે ફન ઝોન, સેલ્ફી પોઈન્ટ હશે
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ગેસની અછત વચ્ચે હવે સાઇબર ગઠિયાએ ઓનલાઇન ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી શરૂ કરી છે. સાઇબર ગઠિયા લોકોને સસ્તા ગેસ અથવા તો કોઈ પણ ઓફરના બહાને વોટ્સએપ કે ટેક્સ્ટ મેસેજથી એપીકે ફાઇલ મોકલે છે. એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરતા જ ફોન હેક થઈ જાય છે અને તમામ ડેટા, બેંક ડિટેલ, ઓટીપી, ફોટો સહિતની માહિતી સાઇબર ગઠિયા પાસે જતી રહે છે, જેના આધારે તેઓ બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે તેમ જ ફોટોનો દુરુપયોગ કરે છે અથવા તો કોન્ટેક્ટમાં રહેલા લોકોને ફ્રોડ મેસેજ મોકલે છે. સાઇબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ એપીકે ફાઇલ અથવા તો અજાણ્યા નંબર પરથી આવતી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કે ડાઉન લોડ કરવી નહીં. ભૂલથી ઇન્સ્ટોલ થઈ હોય તો તેને અનઇન્સ્ટોલ કરી દેવી. સમજીએ... કેવી રીતે ફોન હેક કરીને છેતરપિંડી થાય છે APK ફાઈલ ઈન્સ્ટોલ કરવાથી ફોન હેક થઈ જાય છે અને કંટ્રોલ ઠગના હાથમાં જતો રહે છેસાઇબર ક્રાઇમ પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, નેશનલ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવવાની શરૂ થઈ ચૂકી છે, જેથી લોકોને સાવચેત કરવા માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. મારા કામની વાતછેતરાતા બચવા આટલું કરો
બેલા ટીંબલાની ફેક્ટરીમાં પ્રચંડ ધડાકો થયો:બરવાળાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, કિશોરનું મોત, 2 ઘાયલ
બરવાળા તાલુકાના બેલા ટીંબલા ગામથી અડધો કિમી દૂર વાડી વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ફટકડાંમાં દારૂખાનું ભરવાના મશીનમાં એકાએક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 15 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે 17 વર્ષના કિશોર અને ફેક્ટરીનો માલિક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ સારવાર હેઠળ ખસેડાયો હતો. ઘટના બની ત્યારે 10 શ્રમિકો કામ કરી રહ્યાં હતા. બરવાળા તાલુકાના બેલા ટીંબલા ગામથી અડધો કિમી દૂર વાડી વિસ્તારમાં રાણપુરના ગુંદા ગામના ભુપતભાઇ ગીરજાશંકર વ્યાસની ફટકડાં બનાવવાની ફેક્ટરી આવેલી છે. અહીં એક નાનારૂમમાં દારૂ ખાનાનું રો-મટીરિયલ રાખવામાં આવ્યું હતું. 50 ફૂટ દૂર એક રૂમમાં પેકેજિંગ અને સંગ્રહ કરવામાં આવતો હતો. 21 માર્ચે સવારે ફેક્ટરીમાં કામ કરતાં ઇલાબેનના દિયરનો દીકરો જયદીપ સેંથળા (ઉ.વ.17) અને હાર્દિક સોલંકી ટિફીન આપવા આવ્યા હતા. શ્રમિકો જમવા બેઠાં હોવાથી બે બાળકોને ભુપતભાઇ ફેક્ટરી બતાવવતા હતા. જેઓ રો-મિટિરીયલ રાખવામાં આવ્યો તે રૂમમાં ઉભા હતા. ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં 100 મીટર દૂર ફેંકાયા હતા. આ બ્લાસ્ટમાં 15 વર્ષિય હાર્દિકભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયદીપભાઇ શરીરે 90 ટકા દાઝી જતાં ભાવનગર સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ફેક્ટરીના માલિકની સ્થિતિ નાજૂક હોવાથી ભાવનગરથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક હાર્દિક મામાના ઘરે વેકેશનમાં આવ્યો હતો હાર્દિક સંજયભાઇ સોલંકી (ઉ.વ.15)ની ધો.10ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં મામાના ઘરે વેકેશનમાં આવ્યો હતો. તે મિત્ર સાથે ટિફિન આપવા ફેક્ટરી પર ગયો હતો. 1970થી ફેક્ટરી કાર્યરત, 31 માર્ચે લાયસન્સ રિન્યૂ થયું હતુંઆ અંગે બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરીના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં ફટાકડાંનું ઉત્પાદન થતું હતું. વર્ષ 1970થી આ ફેક્ટરી કાર્યરત છે. તા.31 માર્ચ 2026 સુધી રિન્યૂ પણ થયેલું છે. ઘટનાના કારણ અંગે પ્રત્યક્ષદર્શી ફેક્ટરીમાં કામ કરતાં ઇલાબેનના સંબંધીએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી અહીં હાથથી ફટાકડાં બનાવવામાં આવતાં હતા. તાજેતરમાં જ નવુ મશીન લવાયું હતું. તે મશીનમાં જ સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો છે.
નમસ્તે, કાલના મોટા સમાચારોમાં જોઈએ તો ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો થયો છે. જોકે ઈઝરાયલે હાથ ઊંચા કરી દીધા છે કે અમને નથી ખબર કે આ હુમલો કોણે કર્યો છે. બીજી તરફ ગેસ ભરેલા બે જહાજને ઈરાનની નેવીએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવી રવાના કર્યા છે. ભારત સરકારે દરેક રાજ્યોને 20% ગેસ આપવા નિર્ણય કર્યો છે અને હોટેલ-રેસ્ટોરન્ટને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સોનું-ચાંદી સસ્તા થઈ રહ્યા છે તો એરલાઈન્સની ટિકિટના ભાવમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઈરાન- ઈઝરાયલ યુદ્ધના દરેક એપડેટ પર નજર રહેશે 2. જેલમાંથી છૂટ્યા બાદ સોનમ વાંગચૂક પહેલીવાર લેહ પહોંચશે. તેઓએ કુલ 170 દિવસનો જેલવાસો ભોગવ્યો હતો. 3. IPLની ચેન્નઇ સુપર કિંગ ટીમનું સાજે 7 વાગે ચેપોર્ક સ્ટેડિયમમાં રી-યુનિયન થશે. જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ભાગ લેશે. કાલના મોટા સમાચારો 1. ઈરાની નેવીએ LPG ભરેલા ભારતીય જહાજને હોર્મુઝ પાર કરાવ્યું:દાવો- હુમલાથી બચવા ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી, હજુ 22 જહાજો ફસાયેલા છે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 22મો દિવસ છે. ઈરાની નેવીએ 13 માર્ચની રાત્રે એક ભારતીય જહાજને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવ્યું હતું. LPG લઈને આવી રહેલું આ જહાજ 10 દિવસથી ફારસની ખાડીમાં ફસાયેલું હતું. આ સમાચાર બ્લૂમબર્ગ દ્વારા આપવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ કામ ભારત અને ઈરાન વચ્ચેની વાતચીત બાદ થયું હતું. જહાજને અગાઉથી નક્કી કરેલા રસ્તા પરથી પસાર કરવામાં આવ્યું હતું જેથી તે હુમલાઓથી બચી શકે. આ દરમિયાન જહાજની ટ્રેકિંગ સિસ્ટમ (AIS) બંધ કરી દેવામાં આવી હતી. ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો, ઈઝરાયલે કહ્યું- અમે નથી કર્યો ઇઝરાયલી આર્મીએ ઈરાનના નતાંઝ ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાનો ઈનકાર કર્યો છે. IDF એ કહ્યું કે અમે આ હુમલો કર્યો નથી અને અમને ખબર નથી કે આ કોણે કર્યો છે. અમે અમેરિકી કાર્યવાહી પર કોઈ ટિપ્પણી કરતા નથી. બીજી તરફ, ઈરાનની ન્યૂઝ એજન્સી તસનીમ મુજબ, જે જગ્યા પર હુમલો થયો તેનું નામ 'અહમદી રોશન' છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા બાદ કોઈ પણ પ્રકારનું ખતરનાક ગળતર થયું નથી અને આસપાસ રહેતા લોકોને કોઈ ખતરો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. LPG સંકટ: રાજ્યોને 23 માર્ચથી 20% વધુ ગેસ મળશે:કેન્દ્ર સરકારે કહ્યું- રેસ્ટોરન્ટ-હોટલોને પ્રાથમિકતા મળે, પ્રવાસી મજૂરોને 5 કિલોના સિલિન્ડર આપવામાં આવે કેન્દ્રએ દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે રાજ્યોને LPG સપ્લાય વધારવાનો નિર્દેશ આપ્યો છે. 23 માર્ચથી રાજ્યોને હવે પહેલા કરતા 20% વધુ ગેસ આપવામાં આવશે. આ પછી રાજ્યોને મળતી કુલ સપ્લાય સંકટ પહેલાના સ્તર (પ્રી-ક્રાઇસિસ લેવલ)ના 50% સુધી પહોંચી જશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને તેની જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું કે સામુદાયિક રસોડા, રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનમાં શિયા-સુન્ની અંદરો-અંદર બાખડ્યા:આસિમ મુનીરે શિયા ધર્મગુરુઓને ધમકી આપી, કહ્યું- ઈરાનથી આટલો પ્રેમ હોય તો ત્યાં જ જતા રહો પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરે ગુરુવારે શિયા ધર્મગુરુઓને કહ્યું કે જે લોકો ઈરાનથી આટલો પ્રેમ કરે છે, તેઓ ત્યાં ચાલ્યા જાય. તેમના આ નિવેદનને શિયા સમુદાયના નેતાઓએ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુનીરે રાવલપિંડીમાં શિયા સમુદાયની એક ઇફ્તાર પાર્ટીમાં આ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ કોઈને પણ, કોઈ બીજા દેશ પ્રત્યેની તેમની વફાદારીને કારણે, પાકિસ્તાનમાં અફરાતફરી ફેલાવવાની મંજૂરી નહીં આપે. આ પહેલા તેમણે એ પણ ચેતવણી આપી હતી કે કોઈ બીજા દેશની ઘટનાઓના આધારે પાકિસ્તાનમાં હિંસા સહન કરવામાં આવશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એરલાઈન્સ કંપનીઓ ભાડું વધારે તેવી શક્યતા:કહ્યું- મજબૂરીમાં પણ ભાડું વધારવું પડે તેવી સ્થિતિ ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટ્સની 60% સીટો પર વધારાનો ચાર્જ ન વસૂલવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે આ પગલાથી તેમને પોતાની ગુમાવેલી કમાણીની ભરપાઈ કરવા માટે હવાઈ ભાડું વધારવા પર મજબૂર થવું પડશે. ત્રણેય એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સિવિલ એવિએશન મંત્રાલયને આ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આ અઠવાડિયે સોના-ચાંદીમાં કડાકો:સોનું 11 હજાર સસ્તું થઈ 1.47 લાખ પર આવ્યું, ચાંદી 28 હજાર ઘટીને ₹2.32 પર આવી; ડોલરની ડિમાન્ડ વધવાથી ભાવ ઘટ્યા આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનું 11 હજાર રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 13 માર્ચ, શુક્રવારે 1.58 લાખ રૂપિયા પર હતું. જ્યારે ચાંદી 2.60 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 2.32 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે તેની કિંમત 28 હજાર રૂપિયા ઓછી થઈ. અમેરિકા-ઇઝરાયલની ઇરાન સાથે ચાલી રહેલી જંગને કારણે રોકાણકારો પોતાની 'ગોલ્ડ હોલ્ડિંગ્સ' વેચીને રોકડ (ડોલર) એકઠા કરી રહ્યા છે, જેથી બજારની અસ્થિરતાનો સામનો કરી શકે. આનાથી ડોલરની માગ વધી રહી છે અને સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’:હોશિયારી નીકળી જશે હમણાં; અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન નીકળ એ લુખ્ખા, બધાના નામ લખો, હજી અહીં બેસીસ તો હજુ લુખ્ખો કહીશ, મારુ પોલીસ સ્ટેશન છે અહીં મારુ ચાલશે, બધી હોશિયારી નીકળી જશે હમણાં આ શબ્દો અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIએ અસભ્ય વર્તન એટલા માટે કર્યું કે તે પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ અંગે યુવકનું કહેવું છે કે પગમાં સર્જરીના કારણે ઊભું ન રહેવાયું હોવાથી ગાડી પર બેઠો હતો. તો યુવકે આ બેફામ વર્તન બાબતે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ કરી તો તેમણે PSIનો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કોઇંક ફકંશનમાં થયેલી માથાકૂટ બાબતે યુવકો બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જોકે આ મામલે બંને પક્ષનું સમાધાન થઈ ગયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. હજુ સાત દિવસ માવઠાની આગાહી:આજે કચ્છ-ગીર સોમનાથ, સાબરકાંઠા સહિત 8 જિલ્લામાં હળવા વરસાદની વકી; ખેડૂતો ચિંતામાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતાં તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે 21 માર્ચે આગામી સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત રાજ્યના 8 જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઈદ પર ભોપાલમાં 'અમેરિકા-ઇઝરાયલ મુર્દાબાદ'ના નારા લાગ્યા:રાજસ્થાનમાં લોકોએ કાળી પટ્ટી બાંધી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 60 વર્ષમાં પહેલીવાર અલ-અક્સા મસ્જિદ ઈદમાં બંધ:ઈરાનમાં બજાર વેરાન; UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મથુરામાં હોબાળો: ગૌરક્ષક બાબાના અંતિમ સંસ્કાર કરાયા:પથ્થરમારો, ગાડીઓના કાચ તુટ્યા, પોલીસકર્મીઓ ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે:અમેરિકાની ઈરાની તેલ ખરીદી પર 30 દિવસની છૂટ; ગ્લોબલ માર્કેટમાં 14 કરોડ બેરલ તેલ આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : LPG સંકટઃ 20% લોકો બ્લેકમાં સિલિન્ડર ખરીદી રહ્યા છે:₹4,000 સુધી વધુ ચૂકવવા પડી રહ્યા છે, 68% ઘરમાં સમયસર ગેસ પહોંચી રહ્યો નથી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડ કપ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈજાગ્રસ્ત:મેક્સિકો-અમેરિકા સામેની ફ્રેન્ડલી મેચમાંથી બહાર, કોચે કહ્યું-ઈજા સામાન્ય છે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ :30 વર્ષ બાદ સર્જાયો દુર્લભ સંયોગ:ચૈત્રી નવરાત્રિ અને શનિવારે શનિદેવ બદલશે ચાલ; મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે પૈસા લઈને દુ:ખ સાંભળી રહ્યો છે આ માણસ મુંબઈના દરિયા કિનારે એક યુવાન લોકો પાસેથી તેમના દુ:ખ સાંભળવા માટે પૈસા વસૂલ કરી રહ્યો છે. તેના હાથમાં એક બોર્ડ છે જેમાં લખ્યું છે, જો કોઈ તમને તેમનું દુ:ખ કહેવા માંગે છે, તો હું સાંભળી શકું છું. નાની સમસ્યાઓ માટે 250 રૂપિયા, ગંભીર સમસ્યાઓ માટે 500 રૂપિયા અને બેસીને રડવા માટે 1,000 રૂપિયા ફી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:દરેક યુદ્ધમાં સોનું મોંઘું થયું, તો ઈરાન જંગમાં 12,000 રૂપિયા કેમ ઘટ્યું; શું ભાવ 1 લાખની નીચે જશે, અત્યારે ખરીદવું કે રાહ જોવી? 2. ભાસ્કર સિરીઝ : માસૂમ દીપેશની છાતી ચીરીને અંગો કાઢી લેવાયેલાં?: પોસ્ટ મોર્ટમમાં નવા સવાલો ઊભા થયા; જુઓ ‘આસારામ’ સિરીઝનો સૌથી થ્રિલિંગ એપિસોડ 3. એક્સક્લૂસિવ: 'તેંડુલકરે એ બાળક માટે 11 લાખનો ચેક આપ્યો':પિતાએ કહ્યું- આત્મહત્યા ભલે કર પણ 30 દિવસ મહાદેવને આપી જો, ગુજ્જુ સિંગર જયદેવ ગોસાઇની આંખો ભીની કરી દેતી સફર 4. ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘CM અમને ગાળો આપે છે, અમે અસમિયા છીએ, વિદેશી નહીં’:શા માટે હિમંતાના નિશાના પર ‘મિયાં’ મુસ્લિમ, મહિલાઓ બોલી- પૈસા આપ્યા, પણ ઘર ઉજ્જડ કરી દીધું 5. પારકી પંચાત: ભાજપ પ્રમુખના મોઢા પર પરસેવો બાઝી ગયો:કાર્યકરો માટે તડકે શેકાયા, ચાલુ સ્પીચમાં જ છાંયડો આવી ગયો; ટેલિફોન ઊંધો મુકતાં જ PGVCLની ઓફિસે ટોળાંએ ગરમી કરી 6. સ્ક્રિપ્ટ્સ ચોરીના આઘાત વેઠ્યા, શૂટિંગ પહેલાં જ ફિલ્મો અટકી:'ઉરી' હુમલાએ આદિત્ય ધરની જિંદગી બદલી નાખી, ડિસ્લેક્સિયાને હરાવીને બોલિવૂડનો 'ધુરંધર' બન્યો ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ-ધન રાશિની અધૂરી ઈચ્છાઓ થશે પૂરી, વૃષભ-મકર રાશિએ વ્યવહારમાં સાવધ રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
2 કરોડ રૂપિયાની બોગસ નકલી નોટ સાથે પકડાયલા કામરેજના સત્યમ યોગ ધામ આશ્રમના પ્રદીપ ગુરુજીનું આખેઆખુ આશ્રમ જ ગેરકાયદે હોવાનું અને ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા બાબતે ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી. ગ્રામ પંચાયતે નોટિસમાં એમ પણ લખ્યું હતું કે, તમારા આશ્રમમાં મોડી રાત્રે બહારથી સ્ત્રીઓ આવે છે. ધોરણ-પારડી ગ્રામ પંચાયતે પ્રદીપ દિલીપભાઈ જોંટગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીનેના આશ્રમને લેખિતમાં નોટિસ ફટકારી જણાવ્યું હતું કે, તમારા દ્વારા જે આશ્રમમાં બનાવવામાં આવ્યું છે તે કોઈપણ જાતની પરવાનગી વગર બનાવાયું છે. રાત્રિના સમયે સ્પીકરના અવાજથી આજુબાજુના લોકોને ત્રાસ થાય છે. રાત્રે સ્ત્રીઓ પણ બહારથી આવીને આશ્રમમાં કાર્યક્રમમાં ભાગ લે છે, તેવી રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે. કાર્યક્રમો કરવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે એટલે તમારા દ્વારા આ પરવાનગી લેવામાં આવી છે કે નહીં તેની જાણ ગ્રામ પંચાયતને કરવાની રહેશે. આશ્રમ પાસે કાર્યક્રમ સમયે આવતા લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરે છે જેના કારણે ગ્રામજનોને પણ તકલીફ થાય છે. આ બાબતે જ્યારે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આશ્રમ દ્વારા 1000 લોકો બોલાવીને મારવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત આશ્રમમાં આવતા કેટલાક મોટા વાહનોના કારણે પંચાયતની પાણીની લાઇન અને ગટરલાઇન પણ તોડી નાખવામાં આવી હતી. ગ્રામ પંચાયતે લોકોને નડતરરૂપ થાય તેવા કોઈપણ કાર્યક્રમો નહીં કરવા માટે અને કરે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:કડીમાં જીએસટી અધિકારીઓનો ખેલ; 100 કરોડની જમીન 25 કરોડમાં વેચવાનો કારસો
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા વેચાણવેરાની બાકી રકમની વસુલાતના નામે કિંમતી જમીન વેચી મારવાનો કારસો સામે આવ્યો છે. અધિકારીઓએ વેચાણવેરા સમયની ચાર કંપનીઓ સામે રૂ.18 કરોડથી વધુની બાકી વસૂલાતના નામે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કડી તાલુકાના ચાંદરડા ગામની કંપનીની 100 કરોડ રૂપિયાની જમીન ટાંચમાં લઈને 25 કરોડ રૂપિયામાં વેચી મારવા માટે આ કારસો ઘડાયો હતો. જો કે આખું ભાંડો ફૂટી જતા અધિકારીઓ ભીંસમાં આવ્યા છે. મધુ રિફોઇલ એન્ડ કેમિકલ લિમિટેડ, પ્રાચી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ કંપની, પ્રભુ ક્રિએશન અને પ્રાચી ઇન્ડસ્ટ્રીઝ સામેની જૂની રિકવરી બાબતે વિભાગે સર્વે નં. 59 અને 84 હેઠળ આવેલી બિનખેતી જમીન કબ્જે લીધી હતી. બજાર મૂલ્ય અંદાજે રૂ. 100 કરોડથી વધુ ગણાતી આ જમીન માત્ર રૂ. 25 કરોડમાં હરાજી કરવાની સાંઠગાંઠ રચાઈ ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવો ગોટાળો?આ સમગ્ર પ્રકરણમાં કડીના રાજ્યવેરા અધિકારીની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની ચર્ચા જોર પકડી રહી છે. જો નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો રૂ. 100 કરોડની જમીન રૂ. 25 કરોડમાં પધરાવવાનો મસમોટો ગોટાળો બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં જ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે, પરતુ્ં સ્ટેટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે તપાસ કરવી જોઇએ. કારણ કે અહીં અધિકારીઓએ સત્તાનો સરેઆમ દુરુપયોગ કરીને મોટું ષડયંત્ર રચ્યું હતું. વાંચો શું છે આ ષડયંત્ર... કોણ-કોણ સામેલ અને હવે શું?માલિક વિદેશમાં હોવાનો લાભ લીધો, જીએસટી વિભાગમાં અંદરખાને ગોટાળો ?જેનો કરવેરો બાકી છે તેવા જમીન માલિક વિદેશમાં હોવાનો લાભ લઈને કેટલાક અધિકારીઓએ મળતીયાઓને લાભ થાય તે રીતે હરાજી પ્રક્રિયા ગોઠવી હતી. નિયમિત જાહેરાત અને બીડ પ્રક્રિયાની આડમાં મળતીયાઓને ફાયદો કરાવવાની અહીં તૈયારી કરી લેવાઇ હતી. જમીન પર બેંકનો બોજો હોવા છતાં હરાજી પ્રક્રિયા આગળ વધારવામાં આવી. બેંકને જાણ થતા મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો. કાયદાકીય રીતે બોજાવાળી મિલ્કતની હરાજી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આ જમીન પર જીએસટી વિભાગ સિવાય બેંકના નાણાં પણ ચૂકવવાના બાકી હતા, હરાજીમાં ભાગ લેનાર ભાગીદારોની પીછેહઠહરાજીમાં સામેલ ત્રણ પૈકી બે ભાગીદારો બેંક બોજાની જાણ થતા તાત્કાલિક હટી ગયા હતા. બાકી રહેલા એક પાર્ટનર પાસે રૂ. 25 કરોડની જોગવાઈ ન હોવાથી જમીન રૂ. 40 કરોડના શરતી સોદાથી ત્રીજા વ્યક્તિને વેચવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે- જે સમગ્ર સોદાને વધુ શંકાસ્પદ બનાવે છે. જો કે આ બધુ જ પ્રી પ્લાન હોવાનું ધીમે ધીમે સામે આવી રહ્યું છે. ત્રીજી હરાજીમાં ‘મળતિયા’ મેદાનમાં ?પહેલી બે હરાજીમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા ત્રીજી હરાજીમાં વિભાગના જ લોકો દ્વારા ગોઠવાયેલી ત્રણ વ્યક્તિને ઉભા કરાયા હોવાના આક્ષેપો છે. માત્ર રૂ. 1 કરોડ જમા લઈ બાકીની રકમ માટે મુદત આપવી પણ સવાલો ઊભા કરે છે. કોઇ પણ હરાજીમાં સરકારમાં પૈસા ભરવા એક સમય મર્યાદા હરાજી પહેલા જ નક્કી થતી હોય છે અને તેની વિગતો ડોક્યુમેન્ટમાં દર્શાવવાની હોય છે. હરાજી પ્રક્રિયા અટકાવવા હાઇકોર્ટનો સહારોજમીન માલિક તરફથી હરાજી અટકાવવા હાઇકોર્ટનો સહારો લેવાયો છે. માલિકની ગેરહાજરી અને તેમના પ્રતિનિધિને સત્તાવાર માન્યતા ન આપવી પણ વિવાદનું કેન્દ્ર છે. બીજી તરફ કરોડોની જમીન મફતના ભાવે પધરાવી દેવાનો ગોટાળો ચર્ચાસ્પદ બન્યો છે. અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદઆ સમગ્ર ઘટનામાં રાજ્યવેરા અધિકારીની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. જો આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો મોટાપાયે કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ મામલે તપાસ થશે: ચીફ કમિશનર‘સ્ટેટ જીએસટીના ચીફ કમિશનર આરતી કંવરે જણાવ્યું કે ‘ડિપાર્ટમેન્ટની રિકવરીના કેસમાં જમીન ટાંચમાં લીધી હોય તો માર્કેટ રેટ કરતા ઓછી કિંમતમાં હરાજી કરી શકાય નહીં. જો કઈ ખોટું થયું હશે તો આ મામલે હું તપાસ કરાવીશ.’
દામનગર તાબાના હજીરાધાર ગામની સીમમાંથી એક પશુપાલકનો મૃતદેહ પાંચ માસ પહેલા પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો. જે તે સમયે વૃદ્ધનું ખાડામાં પડી જવાથી મોત થયાનું મનાતું હતું. પરંતુ આ બનાવ લૂંટના ઈરાદે હત્યા થયાનું ખુલ્યું છે. જેને પગલે પોલીસે દામનગરના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેણે ચાંદીના કડા માટે વૃદ્ધને ખાડામાં ડુબાડી મારી નાખ્યા હતા. વૃદ્ધના મોતની આ ઘટના પાંચેક માસ પહેલા દામનગર તાબાના હજીરાધાર ગામે ગત તારીખ 15/7/25ના રોજ બની હતી. જ્યાં દાનાભાઈ ધનાભાઈ કાનમિયા નામના પશુપાલક વૃદ્ધનું મોત થયું હતું. બનાવના દિવસે તેઓ ઢોર લઈ સીમમાં ચરાવવા માટે ગયા હતા અને બાદમાં પાણીના ખાડામાંથી તેમની લાશ મળી હતી. જે તે સમયે તેઓ પાણીના ખાડામાં પડી ગયા હોવાથી ડૂબી જવાથી મોત થયાનું મનાતું હતું. જોકે દામનગરના પીઆઈ સી. એન. દવે અને તેની ટીમની ઊંડાણપૂર્વકની તપાસના અંતે આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે. આ હત્યા દામનગરના અર્જુન ગોરધનભાઈ નાવડીયા, હાર્દિક ઉર્ફે બાવલો ગોરધનભાઈ નાવડીયા અને કિશન ભુપતભાઈ પરમાર નામના શખ્સોએ કરી હોવાનું ખુલ્યું છે. બનાવના દિવસે મૃતક દાનાભાઈ પશુ ચરાવતી વખતે પુલ પાસેના રોડ પર બેઠા હતા ત્યારે ત્રણેય શખ્સો ત્યાંથી નીકળતા તેમણે દાનાભાઈના હાથમાં ચાંદીના કડા પહેરેલા જોયા હતા. જેને પગલે તેમણે લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું. ત્રણેય શખ્સોએ વૃદ્ધને પકડી લઈ ચોમાસાની સિઝનમાં બાજુમાં ચેકડેમ અને વોંકળામાં પાણી ભરેલું હોય ત્યાં લઈ જઈ વૃદ્ધને ડુબાડી દીધા હતા અને તેમની માથે બેસી ગયા હતા. વૃદ્ધનું મોત થયા બાદ તેમણે હાથમાં પહેરેલા 200 ગ્રામ વજનના ચાંદીના બે કડા લૂંટી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે સૌપ્રથમ શંકાના આધાર પર ત્રણેયને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરતા ત્રણેય જણાએ હત્યા અને લૂંટ કર્યાની કબુલાત આપી હતી. દામનગર પોલીસે તેમની પાસેથી બે બાઇક સહિતનો મુદ્દા માલ કબજે લીધો છે. હાથમાં કડા ના હોવાથી હત્યાની શંકા ઊભી થઈ હતીબનાવના દિવસે મૃતક દાનાભાઈના હાથમાં ચાંદીના કડા પહેરેલા હતા. પરંતુ જ્યારે લાશ મળી ત્યારે તેમના હાથમાં ચાંદીના કડા ન હોય બનાવો હત્યાનો પણ હોય શકે તેવી શંકા ઊભી થઈ હતી. જે આજે સાચી ઠરી હતી.
ચોંકાવનારી વિગત સપાટી પર આવી:અશોક ખરાતે ધરપકડ પૂર્વે 3 આઈપીએસ કક્ષાના અધિકારી સાથે સંવાદ સાધ્યો હતો
જાદુટોણા, મંત્રતંત્ર, મેલીવિદ્યા, જ્યોતિષ જેવા વિવિધ કાંડની આડમાં મહિલાઓનું જાતીય શોષણ કરતા અને અનેક રાજકારણીઓ જેના પ્રભાવમાં હતા તે ઠગબાબા અશોક ખરાતે ધરપકડ થવાની છે એવી ગંધ આવતાં જ શિર્ડીમાં એક ફાઈવસ્ટાર હોટેલમાં ત્રણ આઈપીએસ અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો એવી માહિતી બહાર આવી છે. આ અધિકારીઓ કોણ અને બેઠકમાં શું ચર્ચા થઈ હતી એવો પ્રશ્ન હવે ઉપસ્થિત થઈ રહ્યો છે. દરમિયાન ખરાતે યોનિ શુદ્ધિકરણને નામે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું એવું પણ બહાર આવ્યું છે. નાશિકના આ ઠગબાબાનું પ્રકરણ બહાર આવ્યું ત્યારથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ખરાત સાથે સંબંધને કારણે વિરોધી પક્ષે મુદ્દો ઉઠાવતાં મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરને શુક્રવારે પદ પરથી હટાવવામાં આવ્યાં હતાં. ગયા બુધવારે ખરાતની નાશિક પોલીસે ધરપકડ કરી હતી. તેના ત્રણ દિવસ પૂર્વે ધરપકડનો અણસાર મળતાં તે ત્રણ આઈપીએસ અધિકારીઓને મળ્યો હતો. વિનોદ નામની વ્યક્તિએ આ મિટિંગ કરાવી આપી હતી, જે ખરાતનો ખાસ માણસ માનવામાં આવે છે. જોકે આ બેઠકમાં શું થયું, અધિકારીઓએ કોઈ આશ્વાસન આપ્યું કે કેમ તે હજુ બહાર આવ્યું નથી. ઉચ્ચ શિક્ષિત મહિલાઓ પણ આવતી:દરમિયાન પત્રકાર દત્તાત્રય ખેમનાર અનુસાર ખરાત પાસે ઉચ્ચ શિક્ષિત, સરકારી અધિકારી અને રાજકીય કુટુંબની મહિલાઓ મોટી સંખ્યામાં આવતી હતી. તે આ મહિલાઓને પોતે ભગવાન છે, તારું જીવન સારું કરવું હોય તો તારું યોનિ શુદ્ધિકરણ કરવું પડશે એવું કહીને મહિલાઓને પોતાનો પેશાબ પીવાની ફરજ પાડતો હતો. ઉપરાંત વેપારીને ખોટું રત્ન આપી ફસાવ્યો: એક વેપારી ધંધમાં ખોટ થતાં ખરાત પાસે આવ્યો હતો. તેને ખરાતે ખોટાં રત્નો આપીને ફસાવ્યો. તેને પ્રથમ રૂ. 3.50 લાખમાં રત્ન વેચ્યું. આ પછી બીજું રત્ન રૂ. 2 લાખમાં વેચ્યું. આ બંને રત્ન ખોટાં હોવાનું પછીથી જણાયું. મહિલા- પુરુષોને સંબંધ બંધાવતોદરમિયાન એક મોટો વેપારી તેની પાસે આવ્યો હતો. તેનો સંબંધ એક મહિલા સાથે જોડીને સમાગમ કરવાની ફરજ પાડી હતી. આ પછી મહિલા ગર્ભવતી છે એવું કહીને ખરાતે વેપારી પાસેથી રૂ. 20 કરોડ પડાવ્યા હતા. નોંધનીય છે કે ખરાત સિન્નર તાલુકાના મિરગાવ ખાતે શ્રી ઈશાન્યેશ્વર મંદિર ટ્રસ્ટનો અધ્યક્ષ હતો. તે પોતાને મર્ચન્ટ નેવીમાંથી કેપ્ટન તરીકે નિવૃત્ત થયો હોવાનો દાવો કરે છે. ખરાત ન્યુમેરોલોજિસ્ટ હોવાનો દાવો કરતો. તેના શિવનિકા ટ્રસ્ટની વેબસાઈટ પર માહિતી અનુસાર તેણે મર્ચન્ટ નેવીમાં નોકરીનાં 22 વર્ષમાં 154 દેશની મુલાકાત લીધી. આ દેશોની ધાર્મિક રીતિ, પરંપરા, સંસ્કૃતિઓ, નૈતિકતા અને નૈસર્ગિક પરિસ્થિતિઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. અનેક મોટા રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોજક ભવિષ્ય જાણવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેના સંપર્કમાં હતા.
ઉદ્ધવ ઠાકરેની માંગણી:ખરાત સાથે તેને માનનારા સામે પણ કઠોર કાર્યવાહી કરોઃ ઠાકરે
ઠગબાબા અશોક ખરાત સાથે તેની માનનારા બધા સામે કઠોર કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કરી હતી. આપણે મહારાષ્ટ્રને હજુ કેટલા નીચલા સ્તરે લઈ જવાના છીએ. રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો છે. જોકે કાયદાનું પાલન કરનારા જ જો ખરાત જેવા લોકોને સાથ આપે તે નિંદનીય છે. કાયદાનું પાલન કરનારા ઠગબાબાઓની પડખે રહેતા હોય તો ઠગ ભક્તો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આવું કરાય તો જ મહારાષ્ટ્રને આધુનિક કહી શકાશે. આ પ્રકરણે અનેક ફોટો અને નામ સામે આવી રહ્યા છે. તેનો અર્થ તમારા ધ્યાનમાં આવે છે? જેમનું કોઈ પણ કર્તૃત્વ નથી તેમને આવો માર્ગ અપનાવવો પડે છે. જેઓ પોતાના કર્તૃત્વથી કશું નહીં કરી શકે તેઓ જ આવા ઠગબાબા પાસે જાય છે, એમ તેમણે જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં પણ ખરાતને મદદ કરાઈ હતી એવું પુછાતાં વાત ફેરવતાં ઠાકરેએ જણાવ્યું કે મુખ્ય મંત્રીએ હવે ઢાંકપિછોડો મંત્રાલય શરૂ કરવું જોઈએ. બધાનાં પાપો પર ઢાંકપિછોડો કરતું આ ખાતું તેમણે પોતાની પાસે રાખવું જોઈએ. બધા સંબંધિતોની તપાસ કરો:આ પ્રકરણે બધા સંબંધિતોની તપાસ કરો, કારણ કે રેલો ક્યાં સુધી પહોંચ્યો છે તે બધાને સમજાવું જીએ. આ નિમિત્તે ગામેગામ અડિંગો જમાવી બેઠેલા ઠગબાબાઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ. તેમની પાસે કોઈ પક્ષનો ઝંડો હોય તો પણ કાર્યવાહી કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
અશોક ખરાતની ધરપકડ બાદ ખુલાસો:આઘાડી સરકાર પણ ઠગબાબા ખરાત પર મહેરબાન હતી
નાશિકના ઠગબાબા અત્યાચારી અશોક ખરાતની ધરપકડ બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેના રાજકીય સંબંધ બાબતે વધુ એક આંચકાજનક માહિતી સામે આવી છે. હાલમાં વિરોધી પક્ષો મહાયુતિ સરકાર પર જોરદાર ટીકાઓ કરી રહી છે ત્યારે આ પૂર્વે મહાવિકાસ આઘાડી સરકારમાં પણ ખરાતને મોટા લાભ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોના હકનું પાણી વાળીને ખરાતની સંસ્થાને આપવાને આરોપ હવે થઈ રહ્યો છે. ખરાત એક દિવસમાં પ્રભાવશાળી બન્યો નહોતો. તેણે વર્ષોવર્ષ રાજકીય વર્તુળમાં મજબૂત સંબંધ નિર્માણ કર્યા હતા. અનેક મંત્રી, સાંસદ અને વિધાનસભ્યો તેના સંપર્કમાં હતા. આ અંગેના ફોટો અને વિડિયો બહાર આવી રહ્યા છે. આ પ્રભાવને જોરે તે પ્રશાસનમાં હસ્તક્ષેપ કરતો હતો. અધિકારીઓની બદલી કરતો અને વિવિધ ઠેકાણે વ્યાવસાયિક ભાગીદારી પણ કરતો હતો. આ બધાનો ઉપયોગ કરીને તેણે એક પ્રકારની સિંડિકેટ ઊભી કરી હતી. ખરાતના વધતા પ્રભાવનો ફાયદો સીધા સરકારી નિર્ણયોમાં પણ થયેલો સ્પષ્ટ થાય છે. સિન્નર તાલુકાના મિરગાવ ખાતે શ્રી શિવનિકા સંસ્થાનનો અધ્યક્ષ ખરાત માટે દારણા ડેમમાંથી 39 લાખ લિટર પાણી અનામત રાખવામાં આવ્યું હતું. 31 જુલાઈ, 2020ના રોજ આ સંબંધમાં સરકારી નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો. તે સમયે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં હતી. ખેડૂતો માટેનું પાણી ખાનગી સંસ્થાને વાળવાનો આરોપ વધુ મજબૂત બન્યો છે. ખરાતનો મંત્રાલયમાં મોટો દબદબોઆ પ્રકરણને લીધે ખરાતનો મંત્રાલયમાં દબદબો કેટલો મોટો હતો તેની ચર્ચા ચાલી રહી છે. તેનો વિરોધ કરનાર પર દબાણ, ધમકીઓ અને ફોન કોલ્સ આવતા હતા એવી ઘટનાઓ પણ સામે આવી છે. તેના સંપર્કમાં રહેતી પ્રભાવશાળી વ્યક્તિઓને લીધે તેને અનેક વાર સંરક્ષણ મળ્યું છે. આથી આ સંપૂર્ણ પ્રકરણ પાછળ મોટું નેટવર્ક કાર્યરત હોવાની શંકા છે. સિડિંકેટ પર કઠોર કાર્યવાહી કરોદરમિયાન આ સર્વ ઘટનાક્રમને લીધે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખરાત અને તેની કથિત સિંડિકેટ પર કઠોર કાર્યવાહી કરવાની માગણી જોર પકડી રહી છે. ખેડૂતોનું પાણી વાળવામાં આવ્યું હોવાનો આક્રોશ વધ્યો છે. આ પ્રકરણની ઊંડાણથી તપાસ કરીને જવાબદારો સામે કઠોર કાર્યવાહી કરવાની માગણી સર્વ સ્તરેથી થવા લાગી છે.
માજી સાસંદ સંભાજીરાજેનો અનુરોધ:અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં: સંભાજીરાજે
નાશિકના ઠગબાબા અશોક ખરાતને કેપ્ટન તરીકે સંબોધશો નહીં, એવો અનુરોધ માજી સાંસદ સંભાજીરાજે છત્રપતિએ કર્યો છે. ખરાત દેશના લશ્કર અથવા નેવીમાં નહોતો. આથી તેને નામની આગળ કેપ્ટન લગાવશો નહીં, એમ તેમણે જણાવ્યું હતું. ખરાત હાલમાં મહિલાઓના જાતીય શોષણ માટે જેલના સળિયા ગણી રહ્યો છે. તેણે 100થી વધુ મહિલાઓને અહિત થશે એવી બીક બતાવીને જાતીય શોષણ કર્યું છે. તેનાં દુષ્કૃત્યોના અનેક વિડિયો પોલીસના હાથ લાગ્યા છે. આથી તેની કસ્ટડી વધવાની શક્યતા છે. ખાસ કરીને આ ઠગબાબા પોતે નેવીમાં કેપ્ટન હતો એ કહેતો. જોકે સંભાજીરાજે છત્રપતિએ જણાવ્યું કે તે લશ્કર કે નેવીમાં નહોતો. આથી તેને કેપ્ટન તરીકે સંબોધવું નહીં જોઈએ.કેપ્ટન ભારતીય લશ્કરમાં અત્યંત સન્માનજનક પદ છે. આ પદ સુધી પહોંચનારી વ્યક્તિ અત્યંત મહેનતથી, જીદથી અને પ્રખર રાષ્ટ્રભક્તિથી અહીં સુધી પહોંચે છે. ભારતીય લશ્કરમાં આ પદ પર સેવા બજાવનારા અથવા આ પરથી નિવૃત્ત થયેલી વ્યક્તિઓના નામ સાથેકેપ્ટન પદ જોડવાનો અધિકાર હોય છે. આથી બધાને મારી વિનંતી છે કે ઘૃણાસ્પદ કૃત્યો કરનારા ઠગના નામની આગળ કેપ્ટન લગાવશો નહીં. તે ક્યારેય લશ્કરમાં નહોતો. ક્યારેક વેપારી જહાજ પર કર્મચારી ખરાત સ્વયંઘોષિત કેપ્ટન છે. આથી તેના નામની આગળ કેપ્ટન લગાવીને આ પદનું અપમાન નહીં કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે આખરે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. ઉપ મુખ્ય મંત્રી સુનેત્રા પવારે આ માહિતી આપતાં જણાવ્યું કે તેમણે રાજીનામું સ્વીકારી લીધું છે, અને આગળની પ્રક્રિયા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મોકલી આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ચાલી રહેલી તપાસને નિષ્પક્ષ અને પારદર્શક રાખવાના હેતુથી ચાકણકરે સ્વેચ્છાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. હજુ પણ અશોક ખરાત કેસ સાથે કેટલાક ઉચ્ચ અધિકારી સહીત અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. નાસિકમાં ઢોંગી બાબા અશોક ખરાત કેસ સાથે ચાકણકરનું નામ જોડાયા બાદ તેઓ ભારે રાજકીય દબાણ હેઠળ આવ્યા હતા. શુક્રવારે સાંજે મુખ્યમંત્રી ફડણવીસે તેમને વર્ષા બંગલા પર બોલાવી તાત્કાલિક રાજીનામું આપવા સૂચના આપી હતી. ત્યારબાદ રાત્રે લગભગ નવ વાગ્યે ચાકણકર દેવગિરિ બંગલા ખાતે સુનેત્રા પવારને મળવા ગયા, જ્યાં તેમને ફરી રાજીનામું આપવા જણાવાયું. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો અને અંતે તેમણે મોડી રાત્રે પોતાનું રાજીનામું સુપરત કર્યું. મળતી માહિતી મુજબ, બેઠક દરમિયાન ચાકણકરે પોતાનું પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે તેમનો અશોક ખરાત કેસ સાથે કોઈ સંબંધ નથી. છતાં, મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ તેમની દલીલોને માન્યતા આપી નહોતી અને કેસની ગંભીરતા સમજાવી હતી. ચાકણકરે મુખ્યમંત્રીને પત્ર દ્વારા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અંતે તેમને રાજીનામું આપવું પડ્યું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એનસીપીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે પણ આડકતરી રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે મુખ્યમંત્રી રાજીનામું રાજ્યપાલને મંજૂરી માટે મોકલશે. વિપક્ષની ટીકા અને પક્ષની અંદરથી મળેલા ઓછા સમર્થનને કારણે ચાકણકરની સ્થિતિ નબળી પડી હતી, જે અંતે તેમના રાજીનામા સુધી પહોંચી.
તૃતીયપંથી ગુરુના અજબ દાવા વાયરલ થયા:કલ્યાણમાં પમી ગુરુના વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ
નાશિક બહાદ મુંબઈ નજીક કલ્યાણ વિસ્તારમાં હવે ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પમી ગુરુ તરીકે ઓળખાતા એક તૃતીયપંથી ગુરુના અજબ દાવા અને વિડિયો હાલ સોશિયલ મિડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. આ વિડિયોમાં પમી ગુરુ પોતાને આધ્યાત્મિક શક્તિઓ ધરાવતા બતાવે છે, અને લોકોની સમસ્યાઓનો ઉપાય કરવાનો દાવો કરે છે.વિશેષ વાત એ છે કે, આ ગુરુ પોતાના વિડિયોમાં કરોડો રૂપિયાનું સોનું પહેરીને, મોંઘી કારોમાં ફરતા અને આલીશાન જીવનશૈલી દર્શાવતા નજરે પડે છે, જેનાથી સામાન્ય લોકોમાં આકર્ષણ અને અંધશ્રદ્ધા વધે છે. આવા દ્રશ્યો લોકોમાં ખોટી માન્યતાઓ મજબૂત બનાવે છે.આ મામલામાં વધુ ચિંતાજનક બાબત એ છે કે કેટલાક રાજકીય લોકો અને પોલીસ અધિકારીઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓને અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ સામે આવ્યો છે. જેના કારણે પ્રશ્ન ઊભો થાય છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ધરાવતા લોકો જ જો આવી અંધશ્રદ્ધાને વેગ આપે, તો સામાન્ય નાગરિકોનું શું? આ ઘટના સમાજમાં ફેલાતી અંધશ્રદ્ધા અને ઠગાઈ સામે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે. અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરીને આવા ઠગગિરીના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.
ભાસ્કર જાધવનો મોટો દાવો:મંત્રીમંડળને બચાવવા બજેટ સત્ર પૂર્વે જ ખરાત વિરુદ્ધ એસઆઈટી
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે બજેટ સત્ર પહેલાં જ ઠગબાબા અશોક ખરાત કેસની તપાસ માટે એક SIT ની નિમણૂક કરી હતી. આ પ્રકરણને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે અડધું ત્રીમંડળ સંડોવાયેલું હોવાની શક્યતા છે, એવો દાવો શિવસેનાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ભાસ્કર જાધવે કર્યો છે. અત્યાચારી ખરાત પ્રકરણને લઈ સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં મુશ્કેલીમાં મુકાયેલાં રૂપાલી ચાકણકરે રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું છે. જાધવે કહ્યું ચાકણકરે રાજીનામું આપ્યું તે સારી વાત છે, પરંતુ આ પ્રકરણ ફક્ત તેમના પૂરતું મર્યાદિત નથી. આમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે. ભાસ્કર જાધવે કહ્યું કે, રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર પહેલાં ખરાતની તપાસ માટે એક SIT નીમવામાં આવી હતી, પરંતુ અડધી કેબિનેટની સંડોવણી હોવાથી, આ મામલો મહાયુતિ બહાર આવવા દેવા માગતી નહોતી. આ મામલો ફક્ત પત્રકારો અને પીડિત મહિલાના કારણે જ બહાર આવ્યો છે. નહિતર, સરકારે આ મામલો ઘણા સમય પહેલાં દબાવી દીધો હોત. સરકારે સત્ર દરમિયાન આ મામલાની હકીકતો ગૃહમાં રજૂ કરવાની જરૂર હતી, કારણ કે આમાં ફક્ત ચાકણકર કે અન્ય રાજકીય નેતાઓ જ સંડોવાયેલાં નથી, પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. તેથી, સરકારે ફક્ત ચાકણકરનું રાજીનામું લઈને મૂળ મુદ્દા પરથી ધ્યાન હટાવવું જોઈએ નહીં. આ મામલો રાજીનામાથી સમાપ્ત થશે નહીં. સરકારમાં ઘણા મંત્રીઓ અને અધિકારીઓ સંડોવાયેલા હોવાથી, આ મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસને પણ ખબર હતી કે આ કેસમાં IAS અને IPS અધિકારીઓ પણ સામેલ છે. હવે અમે આ મામલાના મૂળમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ સરકારના એકંદર વલણને જોતાં, આ મામલે કેટલાક નેતાઓ અને અધિકારીઓની ફાઇલો દબાવીને તેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરવામાં આવશે, એમ તેમણે કહ્યું.
સિટી એન્કર:મુંબઈમાં ચોમાસામાં પાણી ઉલેચવા 547 પંપની વ્યવસ્થા
આગામી ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાય તો પાણી ઉલેચવા 547 પંપ લગાડવામાં આવશે. ગયા વર્ષ કરતા આ સંખ્યા વધારે છે. મુંબઈ મહાપાલિકાના પર્જન્યજલ વિભાગે આ કામ માટે ટેંડર મગાવ્યા છે. પાઈપલાઈનના કામ મુંબઈમાં બધે ચાલુ છે છતાં પંપની સંખ્યા વધી રહી હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. મુંબઈની ભૌગોલિક રચનાના લીધે નીચાણવાળા ભાગમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે અને એનો નિકાલ થતો નથી. મુંબઈને ચારેય બાજુથી સમુદ્રએ ઘેર્યું હોવાથી મુંબઈમાં વરસાદનું પ્રમાણ વધારે છે. તેથી ચોમાસામાં પાણી ભરાઈ જવાનું જોખમ હોય છે. પણ પાણી ભરાવાના ઠેકાણા ઓછા કરવા મુંબઈ મહાપાલિકાએ અત્યાર સુધી બ્રિમસ્ટોવેડ પ્રકલ્પ અંતર્ગત કરોડો રૂપિયાના કામ કર્યા છે. તેમ જ સૂક્ષ્મ નિયોજન અંતર્ગત દર વર્ષે વિવિધ ઠેકાણાની પાઈપલાઈનની ક્ષમતા વધારવાના કામ પણ કરવામાં આવે છે. છતાં મુંબઈમાં પાણી ભરાવાના ઠેકાણા ઓછા થયા નથી. આ વખતે તો વરસાદના ભરાયેલા પાણી ઉલેચવા મહાપાલિકા પ્રશાસને 547 પંપની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા થોડા વર્ષમાં આ આંકડો વધારે છે. મુંબઈ મહાપાલિકાએ 24 વોર્ડમાં બે વર્ષ માટે પંપની સેવાનો કોન્ટ્રેક્ટ આપવા ટેંડર મગાવ્યા છે. ચોમાસુ માથે છે ત્યારે પાઈપલાઈન વિભાગે 24 વોર્ડ કાર્યાલય પાસેથી પાણી ઉલેચવા કેટલા પંપ જોઈશે એની માહિતી મગાવી હતી. એ અનુસાર આ વખતે ટેંડર કાઢવામાં આવ્યા છે. લગભગ 547 પંપની માગણી કરવામાં આવી છે. ગયા વર્ષે મહાપાલિકાએ 422 ઠેકાણા પંપ લગાડવાની વ્યવસ્થા કરી હતી. પણ 26 મે 2025માં પડેલા કમોસમી વરસાદથી પાણી ભરાવાના ઠેકાણા વધ્યા પછી વોર્ડ કાર્યાલય તરફથી પંપની માગ વધી હતી. તેથી મુંબઈ મહાપાલિકાએ 514 ઠેકાણે પાણી ઉલેચતા પંપ તૈનાત કર્યા. એમાંથી 481 પંપનો ઉપયોગ થયો હતો એવી માહિતી પાઈપલાઈન વિભાગના અધિકારીએ આપી હતી. પંપની સંખ્યા વધી શકેદરમિયાન 547 પંપની માગણી કરવામાં આવી છે છતાં કોઈ વોર્ડમાં પાઈપલાઈનનું કામ પૂરું થયું હશે તો એ વોર્ડમાં પંપ કાઢી નાખવામાં આવશે. ચોમાસામાં કોઈ નવા ઠેકાણા મળશે તો પંપની સંખ્યા વધારવામાં આવી શકે છે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
એનઆઈએ દ્વારા વિશેષ અદાલતમાં અરજી દાખલ:કલ્યાણના ત્રણ યુવાનને ફરાર જાહેર કરવા અરજી
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ કલ્યાણના ત્રણ યુવાનોને ફરાર આરોપી જાહેર કરવાની માગણી સાથે વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી છે. આ ત્રણેય યુવાનો સાહીમ ટાંકી, ફહાદ શેખ અને અમન ટંડેલ વર્ષ 2014 દરમિયાન દેશ છોડીને આતંકી સંગઠન આઈસિસમાં જોડાયા હોવાનો આરોપ છે. જોકે, 2015થી 2017 દરમિયાન તેમનાં મોત થયા હોવાના અપ્રમાણિત અહેવાલો પણ સામે આવ્યા છે. આ અરજી શુક્રવારે એનઆઈએ દ્વારા વિશેષ અદાલતમાં કરવામાં આવી હતી, જ્યાં ચોથા આરોપી અરીબ મજીદ સામે હાલ કેસ ચાલી રહ્યો છે. અરીબ મજીદ પણ આ જૂથનો ભાગ હતો, પરંતુ બાદમાં તે ભારત પરત ફર્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ તેની અરજીમાં જણાવ્યું છે કે, આ ત્રણેય આરોપીઓ લાંબા સમયથી ગાયબ છે અને કોર્ટ સમક્ષ હાજર થયા નથી, તેથી તેમને જાહેર ફરાર આરોપી તરીકે ઘોષિત કરવામાં આવે. આ અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 84 હેઠળ કરવામાં આવી છે, જેના આધારે અદાલત ફરાર વ્યક્તિને નિર્ધારિત સમયમર્યાદામાં હાજર થવા માટે જાહેરનામું જારી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2018માં જ આ ત્રણેય વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા. હવે, એનઆઈએના આ નવા પગલાંથી કેસમાં વધુ કાનૂની પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા છે.
નેસ્કોમાં 22 માર્ચે બિજાઈજ 2026નું આયોજન:ગોરેગાવમાં આજથી બિજાઈઝમાં 400થી વધુ ઉદ્યમીઓ ભાગ લેશે
ગોરેગાવ પૂર્વ સ્થિત નેસ્કોમાં 22 માર્ચે બિજાઈજ 2026નું આયોજન કરાયું છે, જેમાં 400થી વધુ કારોબારીઓ હાજરી આપશે. આ એક કાર્યક્રમ સુધી સીમિત નહીં રહેતાં ઉદ્યમીઓ માટે એક ગ્રોથ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાની ધારણા છે. સંસ્થાપક સંચાલક રોટેરિયન વિનય ખેતાવતે જણાવ્યું કે બિજાઈજનું નિર્માણ ફક્ત એક અન્ય નેટવર્કિંગ ઈવેન્ટના રૂપમાં નહીં, પરંતુ અમારું વિઝન એક એવું મંચ બનાવવાનું છે, જ્યાં વાતચીત વેપારી ભાગીદારીઓમાં ફેરવાય અને વિચાર વાસ્તવિક વ્યાવસાયિક અવસતરોનું રૂપ લે. અધ્યક્ષ રોટેરિયન હિરેન મહેતાએ જણાવ્યું કે આજના માહોલમાં અલગ અલગ રહીને નહીં પરંતુ એક મજબૂત ઈકોસિસ્ટમ સાથે આગળ વધી શકાય છે. બિજાઈજ વિભિન્ન ઉદ્યોગો અને નિષ્ણાતોને એક છત હેઠળ લાવવા માટે તૈયાર કરાયું છે. અમને અદભુત પ્રતિસાદ મળ્યો છે, જે કેન્દ્રિત મંચોની વધતી આવશ્યકતાઓની પુષ્ટિ કરે છે. ઉપાધ્યક્ષ રોટેરિયન સૌરભ બજાજે જણાવ્યું કે અમે પારંપરિક ફોર્મેટથી હટીને પરિણામલક્ષી કોન્ક્લેવ બનાવવા માગીએ છીએ. નોટ સેશનથી લઈને પ્રદર્શન સુધી દરેક તત્ત્વને એ રીતે તૈયાર કરાયું છે કે ઉદ્યમીઓને એવી વિઝિબિલિટી અને કનેક્શન મળે જે તેમના વેપારને પ્રત્યક્ષ લાભ અપાવી શકે. બિઝનેસ વિઝાર્ડસનો મહાકુંભના રૂપમાં સંકલ્પિક આ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ જોડાઓ, સહયોગ કરો આગળ વધો છે. આ આયોજનમાં 20થી વધુ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ વેપાર માલિકો અને ઉદ્યમીઓ ભાગ લેશે, જે આ ક્ષેત્રના સૌથી વિવિધ અને પ્રભાવશાળી નેટવર્કિંગ આયોજનમાંથી એક બની ગયું છે.
ખેડૂતોને આવ્યો રોવાનો વારો:ઉનાળામાં વરસાદના લીધે રાજ્યમાં 51 હજાર હેકટર પર પાકને નુકસાન
રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં ઉનાળામાં પડેલા વરસાદ, ફૂંકાતો પવન અને કરાના કારણે પાકનું ઘણું નુકસાન થયું છે. 16 થી 19 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ 24 જિલ્લાઓને આ કુદરતી આપત્તિનો ફટકો પડ્યો છે. રાજ્યમાં લગભગ 51488.54 હેકટર જમીન પર પાકનું નુકસાન થયું છે. પ્રાથમિક આંકડાઓ અનુસાર સૌથી વધુ ફટકો અહિલ્યાનગર, નાશિક, સાંગલી જિલ્લાને પડ્યો છે. અહિલ્યાનગરમાં 11650.14 હેકટર, છત્રપતિ સંભાજીનગરમાં 8445.10 હેકટર, નાશિકમાં 7301.90 હેકટર, સાંગલીમાં 1865.42 હેકટર, જાલનામાં 1692 હેકટર જમીન પર પાકનું નુકસાન થયું છે. ધુળે જિલ્લામાં 6685.90 હેકટર અને બુલઢાણામાં 3802 જમીન પર પાકનું નુકસાન થયું છે. સુસવાટા મારતો પવન, વરસાદ અને કરાના લીધે ઘઉં, જુવાર, ચણા, મકાઈ, કાંદા, ભાજીઓ સહિત દ્રાક્ષ, દાડમ, આંબા, કેળા, મોસંબી, પપૈયા જેવા ફળના પાકને ફટકો પડ્યો છે. ખાસ કરીને દ્રાક્ષના બાગ અને ભાજીઓનું કરાના કારણે ઘણું નુકસાન થયું છે. સાંગલી જિલ્લામાં તાસગાવ, જત, આટપાટી ભાગમાં દ્રાક્ષના પાકનું ઘણું નુકસાન થયું છે. મરાઠવાડાના નાંદેડ, લાતુર, ધારાશિવ, જાલના અને બીડ જિલ્લામાં ચણા, જુવાર અને ઘઉંના પાકને ફટકો પડ્યો છે. વિદર્ભમાં નાગપુર, ચંદ્રપુર, ગડચિરોલી, યવતમાળ જિલ્લામાં પણ ઘઉં, જુવાર, મકાઈના પાકનું નુકસાન થયું છે. કેટલાક ભાગમાં સુસવાટા મારતા પવન સહિત વરસાદના લીધે પાક ઉખડી જતાં વધુ નુકસાન થયું છે. દરમિયાન આ પ્રાથમિક આંકડાઓ છે. કેટલાક જિલ્લાના અહેવાલ હજી જાહેર થયા નથી. તેથી નુકસાનીનો આંકડો હજી વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. સરકાર તરફથી પંચનામુ ચાલુ છે. આ કુદરતી સંકટના કારણે પહેલાંથી જ આર્થિક મુશ્કેલીમાં પડેલા ખેડૂતો સમક્ષ મોટું સંકટ ઊભું થયું છે. ખેડૂત સંગઠનોએ તરત નુકસાન વળતર આપવાની માગણી કરી છે. ખેડૂતોને મદદ મળશેરાજ્યમાં ઉનાળામાં પડેલા વરસાદ, પવન અને કરાને કારણે પાકનું ઘણું નુકસાન થયું છે. નુકસાનીના પંચનામા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોના ટેકામાં સરકાર મક્કતાથી ઊભી છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોને ટૂંક સમયમાં મદદ આપવામાં આવશે એવી માહિતી કૃષિમંત્રી દત્તાત્રય ભરણેએ આપી છે.
સિટી એન્કર:કુંભારવાડાની મહિલાઓએ ઇલેક્ટ્રિક માટીના ચાકડાને આવકાર્યા
ધારાવીના કુંભારવાડાની 30 મહિલાઓને શુક્રવારે ધારાવી સોશિયલ મિશન (DSM) દ્વારા આયોજિત માટીકામ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ઇલેક્ટ્રિક માટીના ચાકડા આપી સન્માનિત કરવામાં આવી. આ પહેલ DSMના સમુદાય આધારિત કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા અને ધારાવીમાં આવકના અવસર સુધારવા માટેના સતત પ્રયત્નોનો ભાગ છે, જેમાં પરંપરાગત કારીગરીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવામાં આવે છે. “ધારાવીનો કુંભારવાડો તેના માટીકામ માટે લાંબા સમયથી જાણીતા છે, જ્યાં પેઢીથી પેઢી સુધી પરિવારો આ કળામાં જોડાયેલા રહ્યા છે. પરંતુ મહિલાઓની ભાગીદારી મોટાભાગે સહાયક ભૂમિકાઓ સુધી મર્યાદિત રહી છે. ઇલેક્ટ્રિક ચક્ડાની રજૂઆતથી પ્રક્રિયા ઓછી શારીરિક મહેનતવાળી અને વધુ કાર્યક્ષમ બનશે, જેથી મહિલાઓની વધુ ભાગીદારીને પ્રોત્સાહન મળશે,” DSMના પ્રવક્તાએ જણાવ્યું. ભાગ લેનારાઓએ જણાવ્યું કે આ તાલીમથી તેમને કળાની સૂક્ષ્મતાઓ સમજવામાં મદદ મળી. કુંભારવાડાની રહેવાસી જિગ્નિશા જેટવા (21)એ કહ્યું કે વર્કશોપ દ્વારા તેમને માટીકામની પ્રાયોગિક સમજ મળી. “મારા પિતા કુંભાર છે, પરંતુ મને માટીકામ વિશે બહુ ખબર નહોતી. આ વર્કશોપ દ્વારા મેં માટીને યોગ્ય આકાર આપવો, આંગળીઓનો યોગ્ય ઉપયોગ અને દરેક તબક્કે કેટલો દબાણ આપવો તે શીખ્યું. મેં વિવિધ પ્રકારના દિવાઓ બનાવવાનું પણ શીખ્યું,” તેમણે કહ્યું. કુંભારવાડો દેશભરના ગ્રાહકોને માટીના ઉત્પાદનો પૂરાં પાડે છે. દિવાળી દરમિયાન રંગબેરંગી દિયાઓ માટે માંગ ખૂબ વધી જાય છે. “મારું પરિવાર દિવાળી માટે દિવા બનાવે છે, પરંતુ હું પહેલાં મદદ કરી શકતી નહોતી. આ વર્કશોપ પછી મને લાગે છે કે હવે હું પરિવારના વ્યવસાયમાં યોગદાન આપી શકીશ. ઇલેક્ટ્રિક ચાકડા મેન્યુઅલ ચકડા કરતાં ઝડપી છે અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે,” જેટવાએ ઉમેર્યું. આ તાલીમ નરસી રામજી વાળા (55), કુંભારવાડાના માસ્ટર કુંભાર દ્વારા આપવામાં આવી, જેમને 15 વર્ષથી વધુનો શિક્ષણનો અનુભવ છે. તેમણે જણાવ્યું કે માટીકામ માટે ધીરજ, અભ્યાસ અને તકનીક જરૂરી છે અને ઇલેક્ટ્રિક ચક્રોના ઉપયોગથી કલાકારો ગુણવત્તા અને સર્જનાત્મકતા પર વધુ ધ્યાન આપી શકે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છાબીજી ભાગ લેનારી, લક્ષ્મી યોગેશ સોલંકી (37), કુંભારવાડાની ગૃહિણી,એ પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. “હવે હું મારા પોતાના વ્યવસાય માટે અવસર શોધવા માગું છું. માટીના વાસણો આજકાલ ટ્રેન્ડમાં છે. લોકો તેમાં રસોઈ કરે છે અને ખાય છે. તેથી હું કંઈક પોતાનું શરૂ કરીને જીવનમાં આગળ વધવા માગું છું,” એમ તેમણે કહ્યું.
કરોડો રૂપિયાના દંડની વસૂલાત કરાઈ:શાળા નજીક 100 મીટરના વિસ્તારમાં તમાકુ વેચનારાઓ પર જોરદાર તવાઈ
રાજ્ય સરકારે શાળાઓ અને કોલેજોના 100 મીટરના વિસ્તારમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા નવ મહિનામાં પોલીસ દ્વારા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોના અધિનિયમ, 2003 (સીઓએફટીએ) કાયદા હેઠળ 23 હજારથી વધુ કેસ નોંધાયા છે અને અંદાજે 3.77 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી નરહરિ જીરવાલે વિધાન પરિષદમાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સરકારે સ્વીકાર્યું કે, પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યાએ ગુપ્ત રીતે તમાકુનું વેચાણ ચાલુ છે. વિધાનસભ્યોના પ્રશ્નના જવાબમાં જણાવાયું કે શાળાઓની આસપાસ 67 સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 6 સ્થળોએ પ્રતિબંધિત માલ મળતાં લગભગ 1 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને તમામ કેસોમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એપ્રિલ 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધ કાયદા હેઠળ 33,221 કેસ અને દારૂ પ્રતિબંધ કાયદા હેઠળ 1,23,033 કેસ નોંધાયા છે, જેમાં તમાકુ સંબંધિત ગુનાઓ પણ સામેલ છે. દરેક પોલીસ સ્ટેશન સ્તરે ટુકડીઓદરેક પોલીસ સ્ટેશન સ્તરે નાર્કોટિક્સ વિરોધી ટુકડીઓ રચાઈ છે અને શાળાઓમાં ડ્રગ-મુક્ત ઝુંબેશ અમલમાં મૂકાઈ રહી છે. સરકારનો ઉદ્દેશ માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતો નથી, પરંતુ યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રાખવા ઝુંબેશસરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો શાળા નજીક નિયત પરિસરમાં તમાકુ વેચાણ થાય તો સંબંધિત ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદાર ગણવામાં આવશે. શોપ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનોના લાઇસન્સ તાત્કાલિક રદ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર સ્ટોલ દૂર કરવા માટે સ્થાનિક તંત્રને તાકીદ કરવામાં આવી છે. શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વાલીઓને પણ સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રાખવા માટે જનજાગૃતિ અભિયાન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડુતો માટે પાક સુરક્ષા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ ઉભા તેમજ લણણી કરેલા પાકને માવઠાથી થતા નુકસાનથી બચાવી તેની ગુણવત્તા જાળવી રાખવા સૂચનો જાહેર કર્યા છે. ખેતરમાં પાણી ભરાઈ રહેતાં મૂળ વિસ્તારમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જે છોડના વિકાસને અવરોધે છે. પરિણામે ઉપજમાં 20 થી 50 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને ઘઉં અને જવ જેવા મુખ્ય પાકોમાં પાણી ભરાવાથી નોંધપાત્ર આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત જમીનમાં નાઇટ્રોજનની ઉપલબ્ધતા ઘટે છે અને સૂક્ષ્મ તત્ત્વોનું પ્રમાણ વધવાથી ઉભા પાકને નુકસાન થાય છે. ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ન રહે તે માટે તરત જ નીક બનાવી વધારાનું પાણી બહાર કાઢવું,પવન સાથેના વરસાદમાં મકાઈ અને પપૈયા જેવા પાકને લાકડા કે વાંસનો ટેકો આપવો,જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે પિયત અને ખાતર આપવાનું ટાળવું,કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી ઢાંકી દેવો,ડુંગળી અને લસણ જેવા પાકને કાપીને સુકા સ્થળે સંગ્રહ કરવો જેથી તે સડી ન જાય,વરસાદ સંપૂર્ણપણે બંધ થયા બાદ જ જંતુનાશક અથવા ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જેવા સૂચનો કરવામાં આવ્યા હતા.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ડી.ઇ.આઈ.સી.સેન્ટર ખાતે શુકવારે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન તેમજ વહીવટી અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેલ સેન્ટર ખાતે પણ નેશનલ ઓરલ હેલ્થ પ્રોગામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બાળકો માટે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીં આવતા બાળકોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડો.દિવ્યાબેન દાગા તેમજ વહીવટી અધિકારી ડો વિપુલ મોઢા તેમજ ડેન્ટલ વિભાગના ડો.સુનિતાબેન સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
માહે રમઝાન માસ બાદ પોરબંદરમાં ઇદ-ઉલ-ફિત્રની ઇદગાહ ખાતે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.આ નમાઝ બાદ કેબિનેટમંત્રી, જિલ્લા પોલીસવડા,ખારવા સમાજ તેમજ ભાજપના આગેવાનો સહિતના વિવિધ જ્ઞાતિના આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ફુલહાર કરી ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. માહે રમઝાન માસ ચાલી રહ્યો હતો ત્યારે સમગ્ર રાજ્યમાં શુકવારે ચાંદ દેખાઈ જતા શનિવારે ઇદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં પણ ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના સમયે જિલ્લાની તમામ મસ્જિદો તેમજ ઇદગાહ ખાતે ફઝરની નમાઝ દુવા અને સલામ પઢવામાં આવી હતી. પોરબંદર શહેરના નવયુગ સ્કૂલ નજીક આવેલ ઇદગાહ ખાતે વિષેશ નમાઝ પઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો જોડાયા હતા. ત્યારબાદ સુન્ની અજુમન ઇસ્લામ દ્વારા ઇદગાહ ખાતે ઇદ મિલાદનો કાર્યકમ યોજાયો હતો. જેમાં કેબિનેટમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા, જિલ્લા પોલીસવડા ભગિરથસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, તેમજ અનુસુચિત જાતિના આગેવાનો બાબુભાઇ પાડાવદરા સહિતના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોને ફુલહાર કરી ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી.
વેધર રિપોર્ટ:પોરબંદર જિલ્લામાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું, લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 31.9 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 16 ટકા ઘટીને 67 ટકા નોંધાયું છે. પોરબંદરમાં ગુરુવારે કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં રાત્રીના સમયે ઠંડક પ્રસરી હતી જ્યારે શુક્રવારે ભેજનું પ્રમાણ વધી ગયું હતું. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું, જેની સામે શનિવારે મહતમ તાપમાન 31.9 ડિગ્રી યથાવત રહ્યું છે અને લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 16 ટકા ઘટીને 67 ટકા રહ્યું છે. પોરબંદરમાં સવારથી સાંજ સુધી ગરમીનો અનુભવ થાય છે જ્યારે મોડી રાત્રે ઠંડો પવન ફૂંકાતા ઠંડક પ્રસરી હતી.
યાર્ડ વિવિધ જણસીઓથી ઉભરાયું:યાર્ડમાં 14,500 કિલો ઘઉં અને 13,900 કિલો ચણાની આવક
પોરબંદરના યાર્ડમાં યાર્ડમાં સૌથી વધુ 14,500 કિલો ઘઉં અને 13,900 કિલો ચણાની આવક નોંધાઈ હતી તોયાર્ડમાં ધાણા, જીરું,મગફળી, સોયાબીન અને લાલ મરચાની પણ આવક નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે.યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. યાર્ડમાં રવિવારે મગફળીની 2550 કિલો, સોયાબીન 200 કિલો,ચણાની 13,900 કિલો અને જીરુની 3420 કિલો,ઘાણાની 9070 કિલો,ઘઉંની 14,500 કિલો,જુવારની 1600 કિલો આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.965 થી 1265 ભાવ,સોયાબીન રૂ.965 ભાવ, જીરુના રૂ.3200 થી 3850 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1730 થી 1990 ભાવ અને ચણાના રૂ.940 થી 1500 ભાવ બોલાયા હતા. જોકે છેલ્લા 2 દિવસથી યાર્ડમાં જણસીની આવક ઘટી છે.
છેતરપિંડી:હીરો ફિનકોપના લોન એજન્ટ દ્વારા પ્રૌઢ સાથે રૂ. 2.69 લાખની છેતરપિંડી આચરી
પોરબંદરમાં સુતારવાડા વિસ્તારમાં રહેતો ધવલ ભરત ખુદાઇ નામનો આરોપી નરસંગ ટેકરી ખાતે હીરો ફીન કોપમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હોય, જેથી પોરબંદરના જયુબેલી ઓમનગર માં રહેતા રામભાઈ સૂકાભાઈ ઓડેદરા નામના પ્રૌઢએ પોતાની ચાલી રહેલ હિરો ફિન કોપ કંપનીની પર્સનલ લોન ક્લોઝ કરાવવા માટે આરોપીને રૂ.4.85 લાખ આપ્યા હતા. ત્યારે આરોપીએ પ્રૌઢની લોન કલોઝ કરી ન હતી અને લોન કલોઝ થયેલ હોવાની પ્રૌઢને ખોટી એનઓસી આપી હતી. પ્રૌઢની જાણ બહાર પર્સનલ લોનના 14 હપ્તા પેટે રૂ.2,15, 822 પોતે ભરી દીધા હતા અને રૂ.2,69,176ની પ્રોઢ સાથે છેતરપીંડી કરી હતી તેમજ ખોટી એનઓસી તથા ઝીરો સ્ટેટમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ અંગે પ્રૌઢે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધવલ ભરત ખુદાઇ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. અગાઉ 66 વ્યક્તિ સામે છેતરપિંડી આચરી હતી પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રહેતા ધવલ ભરત ખુદાઇએ હીરો ફિનકોપમાં નોકરી દરમિયાન છેતરપીંડી આચરી હતી. રાણાવાવના જયશ્રી મોટર્સ ખાતે ગ્રાહકોને સસ્તા ટુ-વ્હીલર આપવાની લાલચ આપી 66 લોકો પાસેથી OTP મેળવી તેમની જાણ વગર લોન કરી નાખી હતી. કેટલાક લોકો પાસેથી પર્સનલ લોન પણ કરાવી પરંતુ ક્લોઝ કરી નહોતી. આ રીતે કુલ રૂ. 38,36,600ની છેતરપીંડી કરી ખોટી NOC બનાવી વિશ્વાસઘાત કર્યો હતો, જેની ફરિયાદ નોંધાઈ હતી.
ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષમણી વિવાહ સ્થળ તરીખે ખ્યાતનામ છે.ત્યારે અહીં આવેલ માધવરાયજીના મંદિરનો ઇતિહાસ ખૂબ પૌરાણિક છે. આ મંદિર 17મી સદીમાં પોરબંદરના મહારાણીએ માધવરાયજીનું નવું મંદિર બાંધ્યું હતું જેમાં ભગવાનની 3 હાથ ઉપર,1 હાથ નીચે હોય તેવી દુર્લભ અને દિવ્ય મૂર્તિ ભારતમાં એકમાત્ર આ મંદિરમાં બિરાજમાન છેમાધવપુરના લોકમેળામાં આવતા ભાવિકો માધવરાયજીના મંદિર ખાતે અન્ય ક્યાંય જોવા ન મળતી આ મૂર્તિના દર્શનનો લ્હાવો લઈ ધન્ય બને છે.
સ્ટ્રેટેજિક લોકેશનો પર કેમેરાનો જાળ બિછાવાયો:પોરબંદર જિલ્લાની હવે દરેક હલચલ સીસીટીવી કેમેરામાં કેદ
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સૃદ્રઢ બનાવવા, મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ઉકેલવામાં સહાયરૂપ થવા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી શહેર, ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોના અગત્યના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ તેમજ સ્ટ્રેટેજિક લોકેશનો પર વ્યાપક પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્થળોના ડેટાબેઝ તૈયાર કરી, દરેક સીસીટીવી કેમેરાના અક્ષાંશ-રેખાંશ, માલિકનું નામ, મોબાઇલ નંબર અને કેમેરાની સંખ્યા જેવી વિગત એકત્રિત કરવામાં આવી છે. આ તમામ માહિતી ગૂગલ મેપ સાથે સંકલિત કરી પોરબંદર ગૂગલ મેપ સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 766 લોકેશન પર 3285 ખાનગી સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. ઉપરાંત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ 64 લોકેશન પર 347 સરકારી કેમેરા કાર્યરત છે. આ રીતે સમગ્ર જિલ્લામાં કુલ 3632 સીસીટીવી કેમેરા કાર્યરત થતા આશરે 254 ચોરસ કિલોમીટર વિસ્તારનું મોનીટરીંગ શક્ય બન્યું છે. આ પ્રોજેક્ટથી ગુનાઓ પર નિયંત્રણ, શંકાસ્પદ હલચલ પર નજર અને ઝડપી તપાસમાં મહત્વપૂર્ણ સહાય મળશે તેવું જિલ્લા પોલીસે જણાવ્યું છે. વિવિધ પોલીસ મથક હેઠળ લોકેશન સાથે કેમેરાની સંખ્યા પોરબંદર ગૂગલ મેપ સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ કમલાબાગ 191 લોકેશન પર 1802 કેમેરા, કીર્તિમંદિર 42 લોકેશન પર 59 કેમેરા, ઉદ્યોગનગર 38 લોકેશન પર 124 કેમેરા, હાર્બર મરીન 71 લોકેશન પર 353 કેમેરા, રાણાવાવ 132 લોકેશન પર 285 કેમેરા,બગવદર 98 લોકેશન પર 216 કેમેરા, કુતિયાણા 85 લોકેશન પર 118 કેમેરા, મીયાણી 61 લોકેશન પર 261 કેમેરા, માધવપુર 39 લોકેશન પર 54 કેમેરા, નવિબંદર મરીન 9 લોકેશન પર 13 કેમેરા અને નેત્રમ પ્રોજેક્ટ 64 લોકેશન પર 347 કેમેરા છે.
ખાડી યુધ્ધના કારણે તેલની આવકમાં અનિશ્ચિતતા સર્જાઈ છે જેને પગલે પોરબંદરમાં તેલનો ડબ્બો રૂ.100 થી 150 મોંઘો થયો છે. એકતરફ બાટલાની પળોજણ તો હતી ત્યાં તેલ પણ ભડકે બળ્યું છે. ભારતમાં યુક્રેનથી આવતું સનફ્લાવર તેલ, ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવતા પામોલિન તેલ અને અમેરિકાથી આવતું સોયાબીન તેલની આવક ઘટતા સ્થાનિક સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ ઉછાળો આવ્યો છે. ખાડી યુધ્ધને પગલે પોરબંદરમાં બાટલાની અછત સર્જાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ બાટલાની કટોકટી સર્જાણી હતી ત્યાં હવે તેલના ભાવ પણ ભડકે બળ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને ગલ્ફ માંથી સનફ્લાવર તેલ આવે છે અને ઈન્ડોનેશિયા મલેશિયા થી પામતેલ આવે છે. જ્યારે અમેરિકાથી સોયાબીન તેલ આવે છે. હાલ યુધ્ધને પગલે તેલના કન્ટેનરની આવકમાં અનિશ્ચિતતા સર્જાણી છે. માલ આવે છે પરંતુ ક્યારે કન્ટેનર નીકળે તે નિશ્ચિત ન હોવાને કારણે પોરબંદરમાં તેલ બજાર પર અસર પડી છે. આવક ઓછી થતાં સનફ્લાવર તેલમાં ડબ્બે રૂ.150, પામોલિન તેલમાં ડબ્બે રૂ.150 અને સોયાબીન તેલનો ડબ્બો રૂ.150 મોંઘો થયો છે. ખાસ કરીને સનફ્લાવર તેલના ડબ્બામાં અને પામોલિન તેલના ડબ્બામાં રૂ.150નો વધારો થવાને કારણે તેની પાછળ સ્થાનિક સીંગતેલના 15 કિલોના ડબ્બે રૂ.100 અને કપાસિયા તેલના ડબ્બામાં પણ રૂ.100ના વધારો થયો છે. તેલના વેપારમાં 50 ટકાની અસર પડી તેલના વેપારીએ જણાવ્યું હતુકે, હાલ તેલમાં ડબ્બે રૂ.100 થી 150નો ભાવ વધારો થયો છે તેની સામે કોમર્શિયલ ગેસના બાટલાની અછત હોવાથી કેટરિંગ અને ખાણીપીણીના ધંધામાં અસર પડી છે જેથી પહેલા કરતા હાલ તેલના વેચાણમાં 50 ટકાની અસર પડી છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ખાડી યુધ્ધને પગલે હવે તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ખાસ કરીને સન ફ્લાવર તેલમાં ડબ્બે રૂ.150, પામ તેલમાં ડબ્બે રૂ.150 અને તેની સામે કપાસિયામાં ડબ્બે રૂ.100 અને સિંગતેલમાં ડબ્બે રૂ.100નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેલમાં ભાવ વધતા ફરસાણના વેપારીઓ, રેસ્ટોરન્ટ ધારકો અને કેટરિંગના ધંધાર્થીઓને વધુ મુશ્કેલી પડી રહી છે. બજારમાં 15 કિલાના તેલનાડબ્બાનો ભાવ શું છે ?પોરબંદરમાં હાલ સિંગતેલનો ભાવ રૂ.2950થી 3000, કપાસિયા તેલનો ભાવ રૂ.2350 થી2450 તેમજ સનફ્લાવર તેલનો ભાવરહ.2450 થી 2520 અને પામોલિન તેલનોભાવ રૂ.2260 થી 2300 છે.
મારામારી:4 મહિલા સહિત 9 શખ્સ વચ્ચે મારામારી, 5ને ઇજા
બાંટવા પાસેના પાદરડીમાં જુના મનદુખથી 4 મહિલા સહિત 9 શખ્સ વચ્ચે મારામારી થતા 5 વ્યક્તિને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માણાવદર તાલુકાના બાંટવા પોલીસ સ્ટેશન હેઠળના પાદરડી ગામના 33 વર્ષીય દિનેશભાઈ લખમણભાઈ સગારકાને ભુરાભાઈ સીદીભાઈ સગારકાના દીકરા સાથે ખેતરના રસ્તા મુદે બોલાચાલી થઇ હતી. તેનુ મનદુઃખ રાખી શુક્રવારે યુવકના પિતા લખમણભાઈ ગીગાભાઈને ભુરા સીદીભાઈએ લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં ગાંગાભાઈ જીણાભાઇ સગારકા, તેના પત્ની ગીતાબેન તથા નીમુબેન મોહનભાઇ સગારકાએ દિનેશભાઈના ઘરે આવી બોલાચાલી કરી હતી. બાદમાં ગાંગાભાઈ તથા ગીતાબેને યુવાનને કુહાડી, નીમુબેન તેમજ ભાવનાબેન અરજણભાઈ સગારકાએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે ગીતાબેન ગાંગાભાઈના સસરા ભુરાભાઈને લખમણ ગીગાભાઈ અને તેના પુત્ર દિનેશે લાકડી વડે માર માર્યો હોય જેથી તેને સમજાવવા ગયા હતા ત્યારે લખમણભાઇએ ગીતાબેનને કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે તેની સાથેના જેઠાણી ભાવનાબેનને દિનેશે લાકડીથી અને ધર્મેશ લખમણ તથા લાખીબેન લખમણે ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. બનાવમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતાં. પોલીસે સામસામી ફરિયાદ આધારે 4 મહિલા સહિત 9 સામે કાર્યવાહી કરી હતી.
લાકડીઓ અને ધોકા વડે હુમલો કરાયો:પ્લાસવામાં થ્રેસર ચલાવવા મુદે 2 કુટુંબી પરિવાર વચ્ચે ધિંગાણું
જૂનાગઢ પાસેના પલાસવા ગામે સીમ વિસ્તારમાં ખેતરના રસ્તે થ્રેશર ચલાવવા જેવી સામાન્ય બાબતે બે કુટુંબી પરિવારો સામસામે આવી ગયા હતા. આ મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને ધોકા વડે ધિંગાણું ખેલાતા મહિલાઓને ઈજા પહોંચી હતી. જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામે રહેતા ગીતાબેન મનસુખભાઈ મસાલીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના જેઠ ધરમસિંહ અને પોપટભાઈ પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે શેઢા પાડોશી કુટુંબી જયેશ હકાભાઈ મસાલિયા, તેના પત્ની રેખાબેનએ ત્યાં આવી 'અમારા ખેતરમાંથી થ્રેસર કેમ ચલાવો છો?' તેમ કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ જગા ભાણાભાઈ, કરસન ભાણા, પ્રદીપ કરસન, કંચનબેન જગાભાઈ, હરેશ કરસન, મેહુલ રાણા, હુકમ કુરજીભાઈએ આવી લાકડાના ધોકા વડે ગીતાબેન પર હુમલો કર્યો હતો. તેને બચાવવા વચ્ચે આવેલા ધરમસિંહ, પોપટભાઈને માર માર્યો હતો. મહિલાએ તેના દિયર દિનેશને બોલાવતા તેને પણ શખ્સોએ છોડ્યો ન હતો. આ દરમિયાન મહિલાના પતિ મનસુખભાઈ બોલેરો લઈને વાડીએ ભૂકો ભરવા આવતા તેને બોલેરોમાંથી નીચે ઉતારી હુમલો કરી ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પક્ષે મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત થયા હતા. સામા પક્ષે કરશનભાઈ ભાણાભાઈ મસાલીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી. શેઢા પાડોશી ધરમશી તેજા મસાલિયા, પોપટ તેજા, મનસુખ તેજા, ગીતા મનસુખ, દિનેશ ધરમશી, મીતા દિનેશએ રસ્તા બાબતે ઝઘડો કરી લાકડી, ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં કરસનભાઈ, તેના ભાઈ જગાભાઈ અને પુત્ર પ્રદીપને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ 4 મહિલા સહિત 16 શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
દારૂ ઝડપાયો:રાજીવનગરમાં સ્કોર્પિયોમાંથી દારૂ ઉતારી 2 શખ્સ ફરાર, 576 બોટલ જપ્ત
શહેરના સી ડિવિઝન પોલીસ મથક હેઠળના રાજીવનગર વિસ્તારમાં ડીઆઈજીની ટીમને જોઈ 2 શખ્સ સ્કોર્પિયોમાંથી દારૂ ઉતારી નાસી ગયા હતા. જોકે સ્થળ પરથી પોલીસે 576 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ક્રાઈમ ટેબલ-1નો સ્ટાફ શનિવારે સવારે કેન્દ્રીય વિદ્યાલય થી રાજીવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે એવી બાતમી મળી હતી કે, ગાંધીગ્રામમાં રહેતા અભુ જીતુ કોડીયાતર તથા કુમાર જીતુ કોડીયાતર ચુનારાવાસ પાસે કાળા કલરની સ્કોર્પિયો કારમાં ગાળો રાખી વેચાણ અર્થે કટીંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે કેન્દ્રીય વિદ્યાલયથી ચુનારાવાસ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને બંને શખ્સ પોતાની સ્કોર્પિયો કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂની 576 બોટલો મળી આવતા રૂપિયા 1,32,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પીએસઆઇ બી. ડી. માવદીયાએ ફરિયાદ કરતા ડિવિઝન પોલીસે ફરાર થઈ ગયેલા બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
22 માર્ચ 'વર્લ્ડ વોટર ડે' નિમિત્તે જૂનાગઢ જિલ્લાએ જળ સંરક્ષણ ક્ષેત્રે એક નવી રાહ ચીંધી છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ, કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત વરસાદી પાણીને વહી જતું અટકાવી સીધું પૃથ્વીના પેટાળમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો વ્યાપક પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એમ પાંચાના જણાવ્યા અનુસાર, જિલ્લામાં કુલ 1999 જળ સંરક્ષણના કામો પૂર્ણ થયા છે. જેમાં 352 શૈક્ષણિક ભવનો, 212 સરકારી આરોગ્ય કેન્દ્રો, 132 ખાનગી હોસ્પિટલો અને 9 સિંચાઈ વિભાગની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લાની 7 નગરપાલિકા વિસ્તારોમાં પણ 1039 જેટલા કામો દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદ્ધતિમાં છત પર પડતા પાણીને પીવીસી પાઇપ દ્વારા ફિલ્ટર ચેમ્બરમાં શુદ્ધ કરી, બોરવેલ કે કુવાઓમાં ઉતારવામાં આવે છે. જનભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં માત્ર સરકારી કચેરીઓ જ નહીં, પણ સામાન્ય નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. આમ, જૂનાગઢ જિલ્લાએ આકાશી અમૃતને બચાવીને ટકાઉ વિકાસના લક્ષ્યો તરફ મક્કમ ડગલું માંડ્યું છે.
મહિલા ખેડૂત સંમેલન:વીરડી ગામના 118 મહિલાઓએ પ્રાકૃતિક ખેતીના શપથ લીધા
જૂનાગઢ જિલ્લાના વીરડી ગામમાં આવેલ ફાર્મર રિસોર્સ સેન્ટર (FRC) ખાતે RAF Global સંસ્થા દ્વારા મહિલા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખેતીને ઝેર અને કેમિકલમુક્ત બનાવી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગતથી થઈ હતી, ત્યારબાદ સંસ્થાના પ્રતિનિધિએ જૂનાગઢ જિલ્લામાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતીની કામગીરીની રૂપરેખા આપી હતી. કાર્યક્રમને મનોરંજક બનાવવા માટે “કૌન બનેગા પ્રાકૃતિક કિસાન” જેવી ક્વિઝ રમત રમાડવામાં આવી હતી સાથે જ, પ્રાકૃતિક ખેતીના પ્રદર્શન દ્વારા નવીનતમ પદ્ધતિઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ સંમેલનમાં કુલ 118 મહિલા ખેડૂતો હાજર રહ્યા હતા. અંતમાં, તમામ ઉપસ્થિત મહિલાઓએ ધરતી માતાને બચાવવા અને શુદ્ધ ખેતી અપનાવવાના શપથ લીધા હતા.
ફરિયાદ નોંધાઈ:લુંટેરી દુલ્હન મેરેજ બ્યુરો, દલાલ સાથે મળી રૂ. 2.10 લાખ લઈ જતા ફરિયાદ
જૂનાગઢ તાલુકાના ચોકી ગામે રહેતા 61 વર્ષીય મનસુખભાઈ મૂળજીભાઈ સુતરીયાના પુત્ર જેનીશના લગ્ન માટે પરિવાર પ્રયત્નશીલ હતો. આ દરમિયાન, ગઈ તા. 28 નવેમ્બર 2024ના રોજ પાડોશી અશ્વિનભાઈ કોટડીયાના ઘરે નાગપુરથી નિલેશ અગ્રવાલ, તેની પત્ની સંતોષી અને સંગીતા નામના મહેમાન આવ્યા હતા. તેઓને પુત્ર જેનીશના લગ્નની વાત કરતા નિલેશ અગ્રવાલએ રૂપિયા 2.10 લાખ દેવા પડશે આ છોકરી તેમ કહી સંગીતા બતાવી હતી. બાદમાં સુરતમાં \સપ્તપદી મેરેજ બ્યુરો'' ચલાવતા વિજય મહેશભાઈ ધકાનનો સંપર્ક કરાવ્યો હતો. આ શખ્સે સંગીતા સાથે જેનીશના લગ્ન કરવા હોય તો 70,000 મારા ખાતામાં નાખી દો અને 70000 કમિશનના નિલેશ અગ્રવાલને અને 70,000 સંગીતાને આપી દેવાનું કહ્યું હતું. યુવતી પસંદ આવતા 29 નવેમ્બર 2020 ના રોજ નાની પરબડી ગામે શિવવાડી મંદિરે જેનીશ અને સંગીતાના ફુલહાર કરી લગ્ન કરાવ્યા હતા. અગાઉ નક્કી થયા મુજબ મનસુખભાઈએ ત્રણેયને પૈસા આપ્યા હતા. લગ્ન બાદ સંગીતા તેના પિતરાઈ ભાઈના લગ્ન, પરીક્ષાના બહાના હેઠળ જતી રહી હતી. થોડા દિવસો બાદ જ્યારે મનસુખભાઈએ યુવતીને પરત મોકલવા વિજય ધકાનનો સંપર્ક કરતા વિજયે ફરિયાદ ન કરવાનું કહી સંગીતા પાસે નાગપુરમાં બળાત્કારને ફરિયાદ કરાવી તમને બાપ, દીકરાને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દઈશ અને નાગપુર ધકકા ખવડાવશું એવી ધમકી આપી હતી. તેથી મનસુખભાઈએ ડરી જઈને ફરિયાદ આપેલ નહીં અને અરજી આપી હતી. જેના આધારે તાલુકા પોલીસે શનિવારે વિજય મહેશ ધકાન, નિલેશ અગ્રવાલ અને સંગીતા વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટોળકીએ કાથરોટા, મજેવડી, રૂપાવટી ગામના યુવાનોને પણ શિકાર બનાવ્યા ફરિયાદીએ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ માત્ર જેનીશ જ નહીં, પરંતુ અન્ય ગામોના યુવાનોને પણ આ રીતે શિકાર બનાવ્યા છે. શખ્સોએ કાથરોટા ગામના રાજુભાઈ ભનુભાઈ અકબરી પાસેથી રૂ. 1.70 લાખ, મજેવડીના કાળુભાઈ લાલજીભાઈ હીરપરા પાસેથી રૂ. 1 લાખ અને રૂપાવટીના જગદીશભાઈ કેશુભાઈ ટાંક પાસેથી રૂ. 1.20 લાખ લઈને આ જ પ્રકારે છેતરપિંડી આચરી હતી.
જૂનાગઢ શહેરમાં મહા નગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ એક્ષ્પોનુ આયોજન કરાયુ છે. જેમાં તારીખ 21 માર્ચને શનિવારના રોજ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મિલેટ એક્ષ્પોમાં વિવિધ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી વસ્તુઓનુ વેચાણ તો છે જ સાથે-સાથે મિલેટમાંથી તૈયાર થતી વાનગીના લાઇવ ફુડ સ્ટોલ મળી કુલ 49 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં રાગીના ઢોસા-ઇડલી, પાણીપુરી, મેથી ગોળની કોફી સહિતની વિવિધ વાનગીઓ મહિલાઓ બનાવી રહી છે જે લોકો જઇને તેનો સ્વાદ માણી શકશે. આ એક્ષ્પો તારીખ 22 માર્ચ સુધી ચાલનાર છે જે સવારે 10 થી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. પ્રથમ દિવસે મંત્રીએ જણાવ્યુ કે, આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા પરંપરાગત જાડા ધાન્ય માટે લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જાપાન જેવા દેશોમાં લોકોના લાંબા આયુષ્યનું કારણ તેમનો ખોરાક છે, તેવી જ રીતે આપણે પણ ખોરાકને ‘દવા’ તરીકે સ્વીકારવો પડશે. મિલેટ્સના ફાયદા અને વૈશ્વિક સ્વીકૃતિ મળતા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રી ય શ્રી અન્ન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે માત્ર ભારત જ નહીં પણ વિશ્વ પણ મિલેટ્સની ઉપયોગિતા સ્વીકારી રહ્યું છે. વિશેષમાં જણાવ્યુ કે, ખેતીની દ્રષ્ટીએ મિલેટ ઓછા પાણીએ અને સુકા વિસ્તારમાં પણ સરળતાથી 100 દિવસે તૈયાર થઇ જાય છે. લાઇવ ફૂડ સ્ટોલમાં આ વાનગી બને - રાગીના ઢોસા, ઇડલી અને શૂપ- મેથી ગોળની કોફી - મિલેટ પિઝા (રાગી-મકાઇનો લોટ)- મગ,જુવાર, મસુર, રાગીની મિક્ષ દાળ - રાગીની પાણીપુરી, રાગી-જુવારના મમરા- રાગીના મસાલા પાપડ અને મિક્ષ કઠોળ ભેળ
મહેશગિરીને મહંત બનાવવાના પ્રયાસનો આક્ષેપ:શક્તિપીઠમાં ગેરવહીવટ મામલે કલેક્ટરને નોટિસ
જૂનાગઢના એડવોકેટ પિયુષ ભુવા દ્વારા કલેક્ટરને સી.પી.સી. કલમ-80 હેઠળ ફટકારવામાં આવેલી કાનૂની નોટિસમાં અંબાજી મંદિરના વહીવટમાં ચાલતા કૌભાંડો અને મહંતપદની નિમણૂંકમાં થતા રાજકીય હસ્તક્ષેપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કલેક્ટરના તા. 6-11-2025ના હુકમથી જ રેકર્ડ પર 'સરકારી લેન્ડગ્રેબર' (સરકારી જમીન પચાવી પાડનાર) સાબિત થયેલા મહેશગિરી ગુરૂ અમૃતગિરીને મહંતપદે બેસાડવા માટે વહીવટી તંત્ર પર રાજકીય દબાણ છે. આ વિવાદાસ્પદ વ્યક્તિને કારણે જ લાયક અને નીતિવાન સાધુઓની નિમણૂંક જાણીજોઈને અટકાવવામાં આવી રહી છે.ઓક્ટોબ ર-2025માં દિવાળી દરમિયાન મંદિરમાં દારૂ, માંસ અને દાનપેટીમાંથી ચોરીના જે વીડિયો વાયરલ થયા છે, તે તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. સીસીટીવી કેમેરા હોવા છતાં આટલા સમય સુધી આ કૌભાંડો કેમ દબાવી રાખવામાં આવ્યા? શું વહીવટી તંત્ર આમાં સામેલ છે?તેવા પ્રશ્નો પણ નોટિસમાં કરવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતો દારૂ પીધેલ કર્મચારી જો સગીર હોય, તો તેને કામે રાખવો તે લેબર લો મુજબ ગુનો છે. જો તે પુખ્ત હોય, તો તેને કડક સજા થવી જોઈએ.જો સમયમર્યાદામાં લાયક મહંતની નિમણૂંક કરવામાં નહીં આવે અને મહેશગિરીના દબાણમાં તંત્ર કામ કરશે, તો ચીફ સેક્રેટરી ની જાણ હેઠળ કલેક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે દીવાની અને ફોજદારી રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ લીટીગેશન અને કોર્ટ ખર્ચની જવાબદારી સરકાર તથા વહીવટદારની વ્યક્તિગત રહેશે.
સન્ડે ફોટો સ્ટોરી:સિવિલના દર્દીઓ વચ્ચે છાત્રોની રાત્રે 2 સુધી ધમાલ
મેડિકલ કોલેજમાં આયોજિત ફેરવેલ પાર્ટી વિવાદના ઘેરામાં આવી છે. ગત 20 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યા સુધી મેડિકલના છાત્રો બિન્દાસ્તપણે ડીજેના ઘોંઘાટ વચ્ચે ગરબા રમી રહ્યા હતા. સૌથી આઘાતજનક બાબત એ છે કે આ કોલેજની બિલકુલ બાજુમાં જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમની પાસે ભવિષ્યમાં લોકોના જીવ બચાવવાની અપેક્ષા છે, તેવા તબીબી છાત્રોની આ પ્રકારની બેદરકારી અને સંવેદનહીનતા સવાલો ઉભા કરે છે. હોસ્પિટલના સાયલન્સ ઝોન ગણાતા વિસ્તારમાં આટલો મોટો ઘોંઘાટ દર્દીઓની ઊંઘ અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તંત્ર દ્વારા આવા કાર્યક્રમો પર રોક લગાવવાને બદલે છૂટ આપવામાં આવી હતી.
ભાસ્કર એનાલિસિસ:જિલ્લાના 14 ડેમમાં સરેરાશ 54.60 ટકા જળસંચય, સૌરાષ્ટ્રમાં જૂનાગઢનો 4થો ક્રમ
જૂનાગઢ જિલ્લામાં કુલ 14 ડેમ આવેલા છે. હાલ ઉનાળાએ દસ્તક દીધી છે ત્યારે તમાંમ ડેમની શું સ્થિતિ છે તે અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી જાણવા મળ્યું હતું કે તમામ ડેમમાં પુરતો જથ્થો છે અને આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જથ્થો એમાં પણ જૂનાગઢને પુરુ પાડતા ઓઝત, હસ્નાપુર, આણંદપુરમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી પાણી અછતની રહેશે નહીં. ઉપરાંત સૌરાષ્ટ્રભરની વાત કરીએ તો જળસ્ત્રોતની દ્રષ્ટીએ જૂનાગઢ 54.60 ટકા સાથે ચોથા ક્રમાકે નોંધાયુ છે. સિંચાઇ વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં ઉબેણ, મધુવંતી, પ્રેમપરા, હસ્નાપુર, ઓઝત- 2, વ્રજમી, આબાજળ, ધ્રાફડ, બાંટવા, ઓઝત-શાપુર, ઓઝત- વંથલી, મોટાગુજરીયા, જાંજેસરી, સાબલી મળી એવરેજ 54.60 ટકા જળસ્ત્રોત છે. જેમાં સૌથી વધારે ઓઝત-2માં 82.40 ટકા અને સૌથી ઓછો વ્રજમીમાં 4.83 ટકા છે. ઉપરાંત પ્રેમપરામાં 0 ટકા પાણી છે કારણ કે તે ડેમ છિછરો હોવાથી પાણી ટકતુ નથી. આમ, જૂનાગઢ જિલ્લાના 14 ડેમ મળી કુલ 54.60 ટકા જળસ્ત્રોત સાથે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો છે અને ચોમાસુ જો ખેચાઇ તો પણ પાણીની કોઈ તકલીફ નહીં પડે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે એમ સિંચાઇ વિભાગના ઇજનેરે જણાવ્યુ છે. જિલ્લાના 14 ડેમોમાં પાણીની સ્થિતિ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાણીની સ્થિતિ (ટકાવારીમાં) તળાવોના લીધે પાણીના તળ ઉંચા આવ્યાંસોરઠ પંથકના એવા અનેક ગામો છે જ્યાં તળાવનું નિર્માણ કરવામાંઆવ્યું હતું જેથી ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હોય અનેકવિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવ્યા છે જેથી પાણીની અછત હવેભૂતકાળ બની રહી છે.
ફરિયાદ:રૂા. 50 હજારના 2.50 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
જામનગર શહેરના યુવકને ધંધામાં ખોટ જતાં બે વર્ષ પહેલા રૂ.50 હજાર વ્યાજે લીધા હોય, જેનું રૂ.30 ટકા લેખે વ્યાજ મળીને રૂ.2.50 લાખ ચુકવી દીધા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને મારકુટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના સેન્ટ્રલ બેંક પાસે, લુહાર સાર તોલાફળીમાં રહેતા વીકી અરવિંદભાઈ પરમાર (ઉ.વ.40) નામના કંસારા યુવક બે વર્ષ પહેલા ઘઉંની લે-વેચ કરતા હતાં. જેમાં ખોટ જતાં તેમણે રૂ.50 હજાર લાલાભાઈ દરબાર પાસેથી વ્યાજે લીધા હતા. જેનું 30 ટકા વ્યાજ લેખે દર મહિને રૂ.15000 ચુકવતા હતા. તેમણે રૂ.2,50,000 ચુકવી આપેલ હોય, અને અવાર-નવાર યુવકને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા આરોપી પાસેથી સીસ્ટમ કાર્ડ પેટે રોજ-બરોજનું વ્યાજ ચુકવી આપેલ હતું. તેમ છતાં આરોપી લાલાભાઈ દરબારે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા, અને સીક્યુરીટી પેટે તેમના બે કોરા ચેક આપ્યા હતા. તે પણ આપ્યા ન હતા. જેથી રુબરૂમાં તથા ફોનથી ધમકી આપતા હતા, અને ઓફીસે બોલાવીને અપશબ્દો બોલીને ઠીકાપાટુનો માર મારીને શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી. જે અંગેની યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે. વ્યાજખોરો ધીમે ધીમે ફરી માથું ઉંચકી રહ્યા હોય તેમ ગુનાઓ સામે આવી રહ્યા છે. એકાદ માસ પહેલા પણ શહેરના સંગમબાગ પાસે એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી હતી. જેથી છેલ્લા થોડા મહિનાઓથી વ્યાજખોરો ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યા છે ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઇએ.
લોકોને રાહત:શહેરમાં બંધ કરાયેલો પાણી પુરવઠો ફરી ચાલુ કરાવતું મહાનગરપાલિકા
જામનગર શહેરમાં મિલકતવેરો ન ભરનારાઓ સામે તંત્રએ ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરીને 13 સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવતા ઉઠેલા વિરોધ અને અમુક લોકોએ મિલકતવેરો ભરી દીધો હતો. જેથી મ્યુ.તંત્ર દ્વારા ફરી પાણી સપ્લાય શરૂ કરવામાં આવી છે. જેથી સોસાયટીના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમ દ્વારા મિલકતવેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને મિલકતો સીલ કરીને હરરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જે સોસાયટીમાં 80 ટકા જેટલા લોકોએ મિલકતવેરો ન ભર્યો હોય તેવી સોસાયટીઓનો પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા વોર્ડના 13 જેટલા વિસ્તારોના એરીયામાં 5035 આસામીઓના ઘરોમાં પાણી પુરવઠો બંધ કર્યો હતો. જે સોસાયટીમાં પાણી જતું તે વિસ્તારના વાલ્વ જ સીલ કરવામાં આવ્યા હતા. તંત્રની આ કામગીરીથી અમુક મિલકતવેરો ભરનારાઓનું પણ પાણી બંધ થઈ જતાં વિરોધ ઉઠ્યો હતો. તંત્રએ તેમની માટે ટેન્કરની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. તો બીજી બાજુ અમુક આસામીઓએ મિલકતવેરો ભરી દીધો હતો. જેથી શુક્રવારથી તમામ વિસ્તારોના એરીયા જેવા કે, મયુર બાગ, શ્રીજીનગર, મંગલધામ, મચ્છરનગર, કાપડમિલની ચાલી, હાઉસીંગ બોર્ડની ચાલી તેમજ ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાત સોસાયટીઓમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. 14 મિલકતોની હરરાજી તંત્રએ રદ કરીશહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મિલકતવેરો ન ભરનાર 14 જેટલી મિલકતો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી, અને તે તમામ મિલકતોની આગામી તા.23 માર્ચના રોજ જાહેર હરરાજી કરવા માટે નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેથી 13 બાકીદારો દ્વારા બાકી વેરાની રકમ ભરપાઈ કરી આપી હતી. 1 મિલકતનો વેરો ભરાયો ન હતો. જેથી તંત્રએ આ મિલકતોની જાહેર હરરાજી રદ કરવામાં આવી છે, બાકી રહેતી એક મિલકતની આગામી દિવસોમાં હરરાજી થશે.
સુવિધા:હાપા-મડગાંવ સહિત 8 ટ્રેનોમાં કાયમી વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને એસી શ્રેણીમાં સતત વધતી માંગને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની આગામી મે માસથી અમલવારી થશે. આ નિર્ણયથી મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા સાથે વધુ આરામદાયક મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. જેમાં ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 27 મે અને નાથદ્વારાથી 28 મેથી અમલી બનશે.જયારે ઓખા-બિલાસપુર એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 23 મે અને બિલાસપુરથી 25 મેથી અમલી બનશે.જયારે જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા જામનગરથી 23 મે અને તિરુનલવેલીથી 26 મે થી અમલી બનશે.તદુપરાંત હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાપાથી 27 મે અને મડગાંવથી 29 મેથી અમલી બનશે. રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન અને રાજકોટ-રીવા એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા વધરાશે. વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા વધારવામાં આવશે.જેની અમલવારી આગામી મે માસમાં થશે. દેવભૂમિમાં આવતા પ્રવાસીઓને સુગમતા યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં રાજયબહારથી યાત્રાળુઓ જગતમંદિરે દર્શનાર્થે આવે છે.જેમાં ઓખામંડળને જોડતી ઓખા-નાથદ્વારા અને ઓખા-બીલાસપુર એમ બે ટ્રેનમાં પણ હવે થર્ડ એસી કોચની સંખ્યા વધારવાના નિર્ણયના પગલે મુસાફર યાત્રાળુઓને ટીકીટમાં વધુ ઉપલબ્ધતા સાથે આગામી દિવસોમાં આવા ગમન વધુ સુગમ મળશે જે સાથે રેલ સુવિધામાં પણ વધારો થશે.
મહેસાણા શહેરના લાખો નાગરિકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા 6 વર્ષના લાંબા પ્રયત્નો અને રજૂઆતો બાદ, રેલવે અને મહાનગરપાલિકા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાસે રક્ષાશક્તિ સર્કલથી ગુરુદ્વારાને જોડતા રેલવે ઓવરબ્રિજના નિર્માણને આખરે મંજૂરી મળી ગઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અને મહાનગરપાલિકા દ્વારા મુસાફરો તથા સામાન્ય નાગરિકોની સુવિધા અને સુરક્ષિત અવરજવર માટે આજે આ પ્રસ્તાવિત ઓવરબ્રિજનો વિગતવાર ગ્રાઉન્ડ સર્વે કરવામાં આવ્યો હતો. મહેસાણા શહેરમાં રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ થયા બાદ શહેર ભૌગોલિક રીતે બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું. ખાસ કરીને દર ચોમાસામાં ગોપીનાળા અને ભમરીયા નાળામાં પાણી ભરાઈ જવાથી શહેરના બે ભાગો વચ્ચેનો સંપર્ક કપાઈ જતો હતો. અત્યાર સુધી શહેર ગોપીનાળા, ભમરીયા નાળા અને આંબેડકર બ્રિજ દ્વારા જોડાયેલું હતું, પરંતુ આ નવો રેલવે ઓવરબ્રિજ હવે ચોથા માર્ગ તરીકે મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડશે, જેનાથી વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ પ્રોજેક્ટના ગ્રાઉન્ડ સર્વે દરમિયાન મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મીન ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશ અને વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક અન્નુ ત્યાગી સહિતના અધિકારીઓએ પ્રોજેક્ટના તકનિકી અને વ્યવહારુ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને લોકોના સમયની મોટી બચત થશે. સીધી કનેક્ટિવિટી મળવાને કારણે સ્થાનિક વેપાર અને જનજીવનને નવી ગતિ મળશે. 12 મીટર પહોળા બ્રિજમાં 76 મીટરનો મુખ્ય ગર્ડર સ્પાન રહેશેઆ ઓવરબ્રિજ અને એપ્રોચ સહિત 1050 મીટર લાંબો અને 12 મીટર પહોળાઈ ધરાવતો બનશે. તેમજ 76 મીટરનો મુખ્ય ગર્ડર સ્પાન રહેશે. પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા સુધીનો રહેશે. એટલે કે, શહેરમાંથી સીધા અમદાવાદ-પાલનપુર હાઇવે પર જઈ શકાશે. આ ત્રણ ફાયદા થશે
ફરિયાદ:જામનગરમાં હોટલના ધંધાર્થી બે ભાઈઓ પર હુમલાથી અફડાતફડી
જામનગર શહેરમાં હોટલના બે ધંધાર્થી ઉપર ભીમવાસના ઢાળીયા પાસે આઠથી દશ જેટલા શખસોએ હુમલો કરીને મારકુટ કરી લૂંટ ચલાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. શહેરના ભીમવાસ વિસ્તારમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા નિલેશ કુંજાની અને જતીન કુંજાની નામના બન્ને ભાઈઓ ગત મોડી રાત્રિના ભીમવાસના ઢાળીયા પાસેથી પસાર થતા હતાં. ત્યારે આઠ થી દશ જેટલા શખસોએ હુમલો કરીને બન્ને ભાઈઓને ઢીંબી નાંખ્યા હતા. લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી નાશી છુટ્યા હતા. જે બાદ બન્ને ભાઈઓ 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. બન્ને હોટલના ધંધાર્થીઓના મોબાઈલ ફોન અને સોનાના ચેઈનની પણ લૂંટ થયાનું પણ જણાવાયું છે. પરંતુ આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. પરંતુ આ બનાવના પગલે ભીમવાસમાં જે વિસ્તારમાં હુમલાનો બનાવ બન્યો હતો. તે વિસ્તારમાં ભારે અફડા-તફડી મચી ગઈ હતી. પરંતુ મોડે સુધી પોલીસમાં ફરિયાદ ન નોંધાઈ ન હતી. તો બીજી બાજુ આ બનાવથી શહેરમાં તેમજ ભીમવાસ વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે અદભૂત સતર્કતા દાખવી ગણતરીની મિનટોમાં હુમલાખોરોને રસ્તા પર જ દબોચી લીધા હતા. હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઈલમાં દોડી તેમને જમીનદોસ્ત કરી દીધા હતા. આ સમગ્ર ઓપરેશનના CCTV હાલ સામે આવ્યા છે. ઘાતક ચપ્પુ અને 3 બાઈક પર 9 સવારCCTVમાં દેખાતા દૃશ્યો કોઈપણ નાગરિકને હચમચાવી દે તેવા ભયાનક છે. સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક પછી એક ત્રણ બાઈક ગલીમાં પ્રવેશ કરે છે. દરેક બાઈક પર ત્રણ-ત્રણ એટલે કે કુલ 9 જેટલા અસામાજિક તત્વો સવાર હતા. આ તમામ હુમલાખોરોના હાથમાં 'રેનબો' કલરના અત્યંત ધારદાર 6 જેટલા મસમોટા ચપ્પુ હતા. તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા. હુમલાખોરોનો આ આતંક જોઈને સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. માત્ર 1000 રૂપિયાની ઉઘરાણીમાં જીવ લેવા નીકળ્યાપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખી લોહિયાળ ખેલ પાછળ માત્ર 1,000 રૂપિયાનો નજીવો વિવાદ જવાબદાર હતો. ફરિયાદી સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી પાસે આરોપીઓએ અગાઉ ઉછીના આપેલા 1,000 રૂપિયાની કડક માંગણી કરી હતી. સચિને અત્યારે આ રકમ આપવાની અસમર્થતા દર્શાવતા મામલો એકાએક બીચક્યો હતો. આરોપી કનૈયા, દીપક અને તેના અન્ય મિત્રોએ સચિનને ફોન પર બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સચિનને અહેસાસ થઈ ગયો હતો કે આ લોકો હુમલો કરશે, તેથી તેણે તુરંત પોલીસને ફોન કર્યો હતો. હુમલાખોરો સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો પહોંચી ગયો અત્યાર સુધી આપણે બોલિવૂડ ફિલ્મોમાં જોયું છે કે, જ્યારે હીરો પર હુમલો થાય ત્યારે પોલીસ છેલ્લી ઘડીએ પહોંચે છે પણ ગોડાદરામાં ચિત્ર બિલકુલ અલગ હતું. સચિનનો ઈમરજન્સી કોલ મળતા જ ગોડાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હરવિજયસિંહ, સંદીપભાઈ અને વિશાલભાઈ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. હુમલાખોરો સોસાયટીમાં ઘૂસીને સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો ત્યાં સજ્જ થઈને પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ અને જવાનોને અચાનક સામે જોઈને હુમલો કરવા આવેલા ગુંડાઓના હોશ ઉડી ગયા હતા અને નાસભાગ મચી હતી. આરોપીએ ભાગવા માટે બાઈકનું એક્સિલરેટર માર્યું ને પોલીસે પકડ્યાપોલીસને જોઈને હુમલાખોરોએ પકડાઈ જવાના ડરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે, એક બાઈક પર સવાર હુમલાખોરો ભાગવા માટે જોરદાર એક્સિલરેટર આપે છે ત્યારે પોલીસકર્મી પાછળથી એક આરોપીને પકડીને ખેંચી રસ્તા પર પટકે છે, જેના કારણે ચાલુ બાઈક હવામાં એક ટાયર પર (વીલી) થઈ જાય છે અને સંતુલન ગુમાવતા બંને રસ્તા પર પટકાય છે. બીજી તરફ, પોલીસ જવાનો હાથમાં દંડા લઈને તેમની પાછળ જીવના જોખમે દોડે છે. એક હુમલાખોર ગલીમાં સંતાઈને ભાગવાની કોશિશ કરે છે પણ બાહોશ પોલીસ જવાનો તેને પકડીને રસ્તા પર પાડી દે છે. એક પોલીસ જવાન આરોપીના ખભા પર બેસી ગયો આ આખા ઓપરેશનનું સૌથી રોમાંચક અને દિલધડક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક આરોપીએ પોલીસની પકડમાંથી છૂટવા માટે જોરદાર ઝપાઝપી કરી હતી. જોકે, નીડર પોલીસે તેને જમીન પર પછાડ્યો અને તે ફરીથી ભાગી ન જાય તે માટે એક પોલીસ જવાન તેના ખભા પર બેસી ગયો હતો. રસ્તાની વચ્ચે ચાલેલું આ દ્રશ્ય કોઈ ફિલ્મી એક્શન જેવું લાગતું હતું અને આ જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓને રસ્તા પર લાઈનમાં બેસાડી તેમની કડક પૂછપરછ કરી અને તલાશી લેતા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. યુપી-બિહારના રીઢા શખ્સોની ગેંગ ઝડપાઈગોડાદરા પોલીસે જે છ આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં મનિષ ઉર્ફે કાલિયા ગુપ્તા, પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે, દીપક યાદવ, અમિત ઉર્ફે બીડી યાદવ, પ્રકાશ ઉર્ફે વિક્કી સોની અને અભિષેક ઉર્ફે બચ્ચી યાદવનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે અને સુરતના લિંબાયત તથા ગોડાદરા વિસ્તારમાં રહીને કલરકામ કે હીરા મજૂરી કરે છે. તેમની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ સામેલ હતો. પોલીસ હવે આ ગેંગના અન્ય સાગરીતો અને ગુનાહિત કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે. ગેરકાયદે મંડળી રચી હુમલો કરવાનો ગુનો દાખલગોડાદરા પોલીસે આ ગંભીર મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ગેરકાયદે મંડળી રચવી, હુમલો કરવો અને હથિયાર રાખવા જેવી કલમોનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક સૂચના બાદ પોલીસ અત્યારે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ પર કામ કરી રહી છે. આરોપીઓ જે રીતે તૈયાર થઈને સાત જેટલા ઘાતક રેનબો ચપ્પુ લઈને આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે, જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો સુરતમાં એક મોટી ગેંગવોર કે હત્યાની ઘટના બની શકી હોત. પોલીસની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળીસુરત શહેર પોલીસની આ વીજળીક વેગે કરેલી કામગીરીની આખા ગુજરાતમાં અને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે જનતા પોલીસ પર ભરોસો કરતા અચકાતી હોય છે, પરંતુ અહીં ફરિયાદી સચિનની સમયસૂચકતા અને ગોડાદરા પોલીસનો ક્વિક રિસ્પોન્સ જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. પોલીસે માત્ર રીઢા ગુનેગારોને પકડ્યા જ નહીં, પણ જે રીતે સરાજાહેર તેમને પાઠ ભણાવ્યો તેનાથી ગુનેગારોમાં પોલીસનો ખોફ બેસી ગયો છે. હાલ આ તમામ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ અમદાવાદમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં તાપમાન 5 ડિગ્રી સુધી વધી શકે છે અને શહેરમાં 40થી 42 ડિગ્રીની આસપાસ ગરમી પહોંચવાની સંભાવના છે ત્યારે આ સંજોગોમાં શહેરના કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમી પડશે તેની મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉથી જાણકારી મળી રહેશે. શહેરમાં ક્યો વિસ્તાર સૌથી વધુ ગરમ છે તેની ત્રણ દિવસ અગાઉ જ જાણ થશેમળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહે ત્યારે હીટ સ્ટોક તેમજ અર્બન હીટ આઇલેન્ડ જેવા જોખમોને ઓછા કરવા માટે પૂર્વસચેત પગલા લઈ શકાય તેના માટેનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી બચવા માટે AMCએ સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સેટલિયો લેબ્સ (SatLeo Labs) સાથે જોડાણ કર્યું છે, જેમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિકો પણ સામેલ છે. આ સ્ટાર્ટઅપની ઉચ્ચ-રિઝોલ્યુશન મલ્ટીબેન્ડ થર્મલ ઇન્ટેલિજન્સ સેટેલાઈટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટની ઓળખ કરશે અને 3 દિવસ અગાઉ હોટસ્પોટનું પૂર્વાનુમાન કરવામાં આવશે. કેટલા વિસ્તારમાં હોટસ્પોટની અસર છે તેની પણ માહિતી અપાશેગરમીના હોટસ્પોટ વિસ્તારોની ઓળખ સેટેલાઇટ પરથી મેળવેલા લેન્ડ સર્કસ ટેમ્પરેચર (LST) ડેટાના આધારે કરવામાં આવશે. ત્યારબાદ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને 30-35 મીટર વિસ્તારના SPATIAL રિઝોલ્યુશન સાથે હવાના તાપમાનનું દૈનિક પૂર્વાનુમાન કરવામાં આવશે. આ પૂર્વાનુમાન 3 દિવસ અગાઉ ઉપલબ્ધ રહેશે અને તેની ચોકસાઈમાં 2-30 જેટલો ફરક હોઈ શકે છે. કેટલા વિસ્તારમાં હોટસ્પોટની અસર છે તેની પણ માહિતી દર્શાવવામાં આવી છે. હાલ 46 જેટલા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી છેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાર્ટઅપ સાથે જે જોડાણ કરીને પૂર્વાનુમાન નક્કી કરવામાં આવ્યું છે તેમાં 46 જેટલા સ્થળો દર્શાવવામાં આવ્યા છે, જે આસપાસના એકથી બે કિલોમીટર વિસ્તાર ગરમ રહે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેના આધારે આ વિસ્તારમાં વધારે ગરમી હોવાથી ત્યાં લોકોને પણ માહિતગાર કરી શકાય તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે અમદાવાદ શહેરમાં હાલ દરરોજ આશરે 1750 એમએલડી પાણીનો પુરવઠો આપવામાં આવે છે. મુખ્યત્વે નર્મદા આધારિત સરફેસ વોટરનો જથ્થો સૌથી વધુ છે, જ્યારે ભૂગર્ભજળ પરનો આધાર ખૂબ ઓછો રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 325 જેટલી ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ભૂગર્ભ જળ વધારવામાં પરપોશન વેલ બનાવવામાં આવી રહી છે ત્યારે શહેરમાં 325 જેટલી ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે, જેના દ્વારા ચોમાસામાં નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું છે. ઉપરાંત સોસાયટીઓમાં પરકોલેશન વેલ યોજનાઓ પણ અમલમાં મુકાઈ છે. આ વિસ્તારોમાં 180 ટીડીએસનું શુદ્ધ પાણી ઉપલબ્ધઅમદાવાદમાં પાણી પુરવઠાની વ્યવસ્થા છેલ્લા બે દાયકામાં મોટા પાયે બદલાઈ છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં અગાઉ બોરવેલ આધારિત પાણી સપ્લાય થતો હતો. જેમાં ટીડીએસનું પ્રમાણ 2200થી 2500 સુધી હતું. બાદમાં જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નર્મદાની લાઈનોના વિકાસથી આ વિસ્તારોમાં 180 ટીડીએસનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બન્યું છે. પાણી પુરવઠામાં વધારો કરવાની તૈયારીઓઆગામી વર્ષોને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠામાં વધારો કરવાની પણ તૈયારી ચાલી રહી છે. 2030 સુધીમાં શહેરમાં 2450 એમએલડી પાણી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. જાસપુર ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રંક મેઈન લાઈન જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પાણી ક્ષમતા વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગ્રાહકોની વ્યાખ્યામાં નાના માણસથી માંડીને મોટા-મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ વગેરે આવી જાય છે, પરંતુ ગ્રાહકો સાથે થતી લૂંટ અટકાવવા માટે સરકારના પ્રયત્નો પણ ટૂંકા પડતાં હોય તેવું દેખાય છે. ઘણી વાર વસ્તુની કિંમત કરતા વેપારીઓ વધુ પૈસા લેતા હોય છે, જેમાં મહત્તમ ગ્રાહકો માથાકૂટ કરવાનું ટાળે છે, જેના કારણે જ ગ્રાહકો સાથે થતી લૂંટ સતત વધતી જાય છે. આ વચ્ચે અમદાવાદમાં કઈક અલગ જ કિસ્સો માસે આવ્યો છે. 5 કિલો તુવેર દાળની એમ.આર.પી. કરતાં વેપારીએ ગ્રાહક પાસેથી વધુ રકમ લેતા તે ગ્રાહકે કોર્ટમાં કેસ કર્યો હતો. 156 રૂપિયા રકમ બહુ નાની હતી, પરંતુ ગ્રાહક જાગૃત હોવાથી કાનૂની લડત આપી હતી. આ લડત એક-બે વર્ષ નહીં પરંતુ દસ વર્ષ સુધી ચલાવી હતી. છેવટે તાજેતરમાં જ ગ્રાહક કોર્ટે વેપારીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ ગ્રાહકને 156 રૂપિયાના 7 ટકા વ્યાજ લેખે વળતર આપવા હુકમ કર્યો છે. વેપારીએ 5 કિલોના પેકિંગમાં રૂ.165 વધારાના વસૂલ કર્યા હતાઆ કેસની વિગત એવી છે કે, ફરિયાદી ગ્રાહક શશીકાંત એ. રાવલે અમદાવાદના કાલુપુર વિસ્તારના કબૂતરખાનાના જથ્થાબંધ વેપારી મેઘરાજ નાનકરામ ઓમ પાસેથી પાંચ કિલો અંગુર તુવેર દાળ પેકિંગમાં ખરીદી હતી. પેકિંગ ઉપર છાપવામાં આવેલી M.R.P. રૂ.675 હોવા છતાં વેપારીએ શશીકાંત પાસેથી રૂ.840ની વસુલાત કરી હતી. વેપારીએ તુવેરની દાળમાં કિલોદીઠ રૂ.33 વધારે વસુલ કરી પાંચ કિલોના પેકિંગમાં રૂ.165 વધારાના વસુલ કર્યા હતા. આ મામલે શશીકાંતએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઉત્પાદક અને વેપારી સામે ગ્રાહકની સાથે અનફેર ટ્રેડ પ્રેક્ટીસ આચરવા સબબ રૂ.1,50,000 કન્ઝયુમર વેલફેર ફંડમાં વેપારી જમા કરાવે અને ફરિયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ માગી હતી. વેપારીએ પ્રથમ ભૂલ હોવાનું અને ફરિયાદ રદ કરવા માગ કરી હતીઆ કેસ ચાલી જતા વેપારીએ શરતચૂકથી વધારે રકમ વસુલ કરી હોવાનો જવાબ આપી પોતાનો બચાવ કર્યો હતો. એટલું જ નહીં બલ્કે પ્રથમ ભૂલ હોવાથી માફ કરવા અને ફરિયાદ રદ કરવા વિનંતી કરી હતી. તેની સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરીને રજૂઆત કરી હતી કે, વેપારીઓ ગ્રાહકો સાથે અયોગ્ય, અનૈતિક અને પ્રતિબંધિત વેપારી ગેરરીતિ આચરી બેફામ નફાખોરી આચરે છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા ન્યાયના હિતમાં ગેરકાયદેસર વેપાર નીતિ સામે યોગ્ય દંડ કરવો જરૂરી છે. ગ્રાહકની કાનૂની ખર્ચના 2000 ચૂકવવા પણ હુકમજિલ્લા ગ્રાહક કમિશને નેશનલ કમિશનનો હોટેલ ન્યાય મંદિરના અપીલના કેસમાં ઠરાવ્યા મુજબ, જો કોઇ વેપારી M.R.P.થી વધારે રકમ વસુલ કરે તે સંજોગોમાં તે ગેરકાયદેસર વેપાર નીતિ આચરેલ હોવાનું કહી શકાય. આથી વેપારીને રૂ.50,000નો દંડ ફરમાવવાતો હુક્મ કર્યો હતો. સાથે સાથે ગ્રાહક પાસેથી વધારાની વસુલ કરેલ રકમ રૂ.165 ફરિયાદ દાખલ કર્યાની તારીખ 2016થી 7 ટકાના વ્યાજ સાથે ચુકવવા અને રૂ.2,000 કાનૂની ખર્ચના અલગથી ચુકવી આપવા હુકમ કર્યો છે. આવા વેપારીઓને ખુલ્લા પાડવા ગ્રાહકોને આગળ આવવા અપીલગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે 10-10 વર્ષની લાંબી કાનુની લડત બાદ નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા ફરમાવવામાં આવી છે. સાથે ગ્રાહક જાગૃતિનો શાનદાર વિજય થયો હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે, વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. એમ.આર.પી. થી વધારે રકમ વસુલ કરે છે, જી.એસ,ટી. નંબરવાળા પાકા બીલ અને ગેરેંટી આપતા નથી, તોલમાપમાં ગ્રાહકોને ફટકો મારીને ભેળસેળ કરતા હોય છે, આવા તમામ ગ્રાહકોને છેતરનારા વેપારીઓને ગ્રાહક કમિશને લપડાક મારી આવકારદાયક અને પ્રશંસનીય ચુકાદો આપ્યો છે. ગ્રાહકોએ આવા વેપારીઓને ખુલ્લા પાડવા વધુને વધુ ફરિયાદો દાખલ કરવા આગળ આવવું જોઇએ.
અમદાવાદ વડોદરા નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલ વાસદ તેમજ ખેડા ટોલના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં કેટલીક ગાડીવાળા ટોલમાંથી પસાર થવા માટે જરૂરી પુરાવા ડુપ્લિકેટ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે, તે પણ NHAIના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટેગના માધ્યમથી જ ઉપલબ્ધ છે. જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ રજૂ કરશે તો કડક કાર્યવાહી કરાશેભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ, જેવાં કે ગાડીની RC બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફર્ઝી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જૂના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસૂલાત કરાવવામાં આવશે. (જે તે વાહનના વર્ગ વાર અને દર મુજબ ) જેથી ભારત સરકારને થતું નુકસાન અટકાવી શકાય. ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશેવધુમા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી તારીખ 1 એપ્રિલ, 2026થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડીમાં ફાસ્ટટેગથી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશનથી જ પેમેન્ટ વસૂલવામાં આવશે. ઉપરોક્ત બાબતના અનુસંધાનમાં ટોલ પ્લાઝા અધિકારો દ્વારા પોલિસ સ્ટેશનમાં પત્ર પણ રજુ કરવામાં આવેલ છે તેમજ પોલીસનો સહયોગ હંમેશા સકારાત્મક રહયો છે.
અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. આજે કલોલના શેરથા બાયપાસ પાસે વધુ એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ બનેલી આઈસર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈસર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું આઈસર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો તેમજ ગ્રામજનોએ રોડની ખરાબ હાલત અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ટ્રક પલટીને બાજુમાંથી પસાર થતી કાર પર ખાબકતાં ભૂકો બોલી ગયોપ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતી આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભૂકો બોલાઈ ગયો હતો. કારમાં સવાર મહિલા ચગદાઈ જતાં મોત થયુંઅંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતા જ ટોલ રોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારીલોકોનો આક્ષેપ છે કે અમદાવાદ મહેસાણા હાઈવે અત્યંત ખખડધજ હાલતમાં છે અને માર્ગ-મકાન વિભાગ તેમજ GRICL કંપની માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે. પરંતુ રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી દાખવે છે. રોડની ડિઝાઇન અને સુરક્ષાની અનેક ખામીઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાલમાં અડાલજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ટ્રકમાં મોટું મશીન હતું તે કાર પર પડ્યું હતુંઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા તરફથી આઇસર ટ્રકમાં મોટું મશીન હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીકના હાઈવે રોડ પર બમ્પ કૂદતા ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. અને ટ્રક પલટીને સીધી કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં તપાસ ચાલુ છે.
ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને આર્થિક પાટનગર ગણાતા સુરતમાં સત્તા જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ કવાયતના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે, અહીં તેઓ રાત્રિ રોકાણ કરી સુરત મનપા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરશે. સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રીની બેઠકનું આયોજનમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે સુરત આવી પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સીધા જ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, જે અત્યારે રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદ્દેદારો અને વરિષ્ઠ નેતાઓને ખાસ મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. CMનો પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો સાથે સીધો સંવાદ સુરત મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં જે રીતે પરિણામો આવ્યા હતા અને વિપક્ષની મજબૂત હાજરી જોવા મળી હતી, તેને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. મુખ્યમંત્રી પોતે મેદાનમાં ઉતરીને પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. યુવાન ચહેરાઓને તક આપવાની ચર્ચાબેઠકનામુખ્ય મુદ્દાઓ વાત કરવામાં આવે તો દરેક વોર્ડમાં ભાજપની પકડ કેટલી મજબૂત છે અને કયા વિસ્તારોમાં વધુ મહેનતની જરૂર છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે પૂર્વ કોર્પોરેટરો પાસેથી તેમના વિસ્તારના લોકોની નારાજગી કે પ્રશ્નો જાણીને તેને ચૂંટણી પહેલા ઉકેલવાની રણનીતિ બનાવાશે. આગામી ચૂંટણીમાં કયા નવા અને યુવાન ચહેરાઓને તક આપી શકાય તે અંગે પ્રાથમિક ચર્ચા થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે કે નહીં, તેની ચકાસણી કરાશે પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ સાથે મંત્રણાઆ બેઠકમાં ખાસ કરીને એવા પૂર્વ કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા છે જેઓ પોતાના વિસ્તારમાં મજબૂત જનાધાર ધરાવે છે. મુખ્યમંત્રી તેમની સાથે વન-ટુ-વન ચર્ચા કરીને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિનો તાગ મેળવશે. ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહીને સુરત મહાનગરપાલિકામાં ફરી એકવાર કેસરીયો લહેરાવવા માટે માર્ગદર્શન આપશે. સુરતની મુલાકાત બાદ વલસાડ જશેમુખ્યમંત્રી આજે આખી રાત સુરતમાં જ રોકાશે, જે સૂચવે છે કે તેઓ સુરતના રાજકીય સમીકરણોને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. આવતીકાલે સવારે મુખ્યમંત્રી વલસાડ જવા રવાના થશે. વલસાડમાં પણ તેમના વિવિધ કાર્યક્રમો અને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દક્ષિણ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસનો ભાગ છે.

27 C