SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ:જૂનાગઢમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો શંખનાદ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જાહેર કર્યું સંપૂર્ણ ચૂંટણી જાહેરનામું અને વ્યવસ્થાતંત્રનું માળખું.

જૂનાગઢ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ બેઠક દરમિયાન તેમણે ચૂંટણી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલના રોજ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટરે ખાતરી આપી હતી કે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. ​ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓ 11 એપ્રિલ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તો તેના માટે 15 એપ્રિલની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચાર કાર્ય વેગ પકડશે. ​જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણી જંગ ખૂબ જ વ્યાપક સ્તરે ખેલાવાનો છે. જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો અને જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 158 બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના 9 વોર્ડ અને બાંટવા નગરપાલિકાના 1 વોર્ડ માટે પણ ચૂંટણી યોજાવાની છે. લોકશાહીના આ પર્વમાં મતદાન માટે 26 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તે દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામો જાહેર થશે. ​ચૂંટણી વ્યવસ્થાપન માટે કલેક્ટર દ્વારા અધિકારીઓની મહત્વની નિમણૂંકો કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 9 આર.ઓ. એટલે કે રિટર્નિંગ ઓફિસર અને તેમને સહયોગ આપવા માટે 18 એ.આર.ઓ. કાર્યરત રહેશે. આ સાથે જ વહીવટી કામગીરીને સરળ બનાવવા માટે 9 નોડલ ઓફિસરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ કુલ 7,71,029 મતદારો નોંધાયેલા છે, જ્યારે કેશોદ નગરપાલિકામાં 53,495 અને બાંટવા નગરપાલિકાની પેટાચૂંટણી માટે 1,262 મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ​મતદાન મથકો અને ઈવીએમ મશીનોની વ્યવસ્થા અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 950 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને તેના માટે 2,138 ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. તેવી જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓ માટે 60 મતદાન મથકોની વ્યવસ્થા છે જ્યાં 81 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. તંત્ર દ્વારા દરેક મથક પર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ​ચૂંટણીમાં થતા નાણાકીય ખર્ચ પર અંકુશ રાખવા માટે પણ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો વધુમાં વધુ 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ખર્ચની આ મર્યાદા 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના ઉમેદવારો 2.25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. આ ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી આચારસંહિતાનો ભંગ ન થાય. ​અંતમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને યુવા અને નવા મતદારોને અપીલ કરી હતી કે તેઓ અત્યારથી જ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન પડે. વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન અને ઓનલાઇન પોર્ટલની સુવિધા પણ આપવામાં આવી છે જેના દ્વારા મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સાથે મળીને પણ સુરક્ષાનું આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:40 pm

પત્નીને બેટથી ફટકારી બોચી પકડી બેસી ગયો, VIDEO:રાણીપમાં ફોઈનું ઉપરાણુ લેતા જ પરિણીતાને પતિએ ફટકારી; દીકરી છોડાવવા જતાં તેને પણ મારી

રાણીપમાં પૈસા બાબતે ફોઈનું ઉપરાણુ લેતી પરિણીતાને પતિએ બેફામ મારતા મામલો રાણીપ પોલીસ સ્ટેશન પહોચ્યો છે. આશુતોષ રેસિડેન્સીમાં રહેતી કંચન શાહે પતિ અમિત શાહ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. કંચન પતિ અમિત અને બે દીકરી સાથે રહે છે. કંચનના પ્રથમ લગ્ન દીપક મકવાણા સાથે થયા હતાં, જેમાં છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ 2007માં તેણે અમિત સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પત્નીની વાત સાંભણી પતિ મારવા લાગ્યોગઈકાલે કંચન ઘરે હાજર હતી, ત્યારે તેની ફોઈ ભાનુબેન તેને મળવા માટે આવ્યાં હતા. કંચનને ગુજરી બજારમાં જવાનું હોવાથી તે તૈયાર થઈ રહી હતી, ત્યારે ભાનુબેને જણાવ્યુ કે, હું અમિત પાસે રૂપિયા માગુ છું. ભાનુબેનની વાત સાંભણીને કંચને જવાબ આપ્યો કે, તમારા પૈસા છે તો માંગી લો. કંચનની વાત સાંભણીને અમિત સાંભણી ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો. કંચને ફોઈનું ઉપરાણુ લેતા અને પૈસા આપી દેવાની વાત કરતા તે વધુ ગિન્નાયો હતો. મહિલા સારવાર હેઠળ, વીડિયો પણ સામે આવ્યોઅમિતે તરત જ મેટલનુ શો-પીસ હાથમાં લઈને કંચનના માથામાં મારી દીધુ હતું. બાદમાં બેટથી મારવાનું શરૂ કરી દીધુ હતું. કંચનની દીકરી વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. કંચને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. કંચનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાણીપ પોલીસે આ મામલે અમિત વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કંચનને અમિત માર મારતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:22 pm

અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ:માતા-પિતાની હાલત ગંભીર, પરિવારે કહ્યું- સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત નિપજ્યાં છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પરિવારે કહ્યું છે કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે, અને અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 'મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે'ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખીરુમાંથી ઢોસા બનાવીને ખાધા તો મારા દીકરા, પુત્રવધુ, 2 પૌત્રીને ઊલટી થવા લાગી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પહેલા 3 મહિનાની બાળકીનું મોત થયું હતું. જે બાદ 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી છે. 'અમે તપાસ કરી રહ્યા છીએ'- AMCઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:19 pm

કાળમુખી સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ:તોતીંગ ટાયર નીચે દબાઈ જવાથી ખેડૂતનું મોત, આઈશરની ટક્કરે બાઇકચાલકનો જીવ ગયો, સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા છે. હિંમતનગર-વિજાપુર હાઈવે અને નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. 1. કૃષ્ણનગર પાટિયા પાસે સ્કોર્પિયોની ટક્કરે ખેડૂતનું મોત હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર સોમવારે (6 એપ્રિલે) સવારે એક કાળમુખી સ્કોર્પિયો કારે ટ્રેક્ટર-ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. સ્કોર્પિયોની ઝડપ એટલી વધારે હતી કે, ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં જઇને પડ્યુ હતું. અકસ્માત બાદ ટ્રેક્ટરચાલક ખેડૂત રાકેશસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉં.વ. આશરે 40, રહે મોર ડુંગરા તા.હિંમતનગર) ટાયર નીચે દબાઈ ગયા હતા. હિંમતનગર ફાયર વિભાગના ઓફિસર મયંક પટેલે જણાવ્યું કે, કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટની જહેમત બાદ ટાયર નીચે દબાયેલા ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં ખેડૂતનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતા. હિંમતનગર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2. રણાસણ ત્રણ રસ્તા પાસે આઈશર-બાઈક અકસ્માત: એક યુવાનનું મોત બીજી ઘટના હિંમતનગરના ગાંભોઈ નજીક રણાસણ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે બની હતી. શામળાજી તરફથી આવતી એક આઈશર ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા બાઈકને અડફેટે લીધું હતું. બાઈક પર સવાર ત્રણેય યુવાન હિંમતનગરના વાટડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં નીતીનસિંહ રંગુસિંહ પરમાર (ઉં.વ. 35)નું મોત નિપજ્યું હતું. જ્યારે નારણસિંહ વજેસિંહ પરમાર (ઉં.વ. 36)ને ગંભીર ઈજા અને દલપત પરમાર (ઉં.વ. 37)ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ટ્રક કબજે લીધી છે અને ઘાયલોને સારવાર અર્થે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 3.વિરાવાડા પાસે બેફામ ટ્રકે કારનો કચ્ચરઘાણ વાળ્યો, પરિવારનો બચાવ હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર રવિવારે રાત્રે 1:40 વાગ્યાની આસપાસ એક ચમત્કારિક ઘટના બની હતી. અમદાવાદના નરેન્દ્ર ચૌહાણ પોતાના પરિવાર સાથે વેરના કાર લઈને ઉદેપુર જઈ રહ્યા હતા. વિરાવાડા પાસે આવેલી હોટલ સર્વોત્તમ પાસે પરિવારે કાર પાર્ક કરી અને જમવા માટે હોટલમાં ગયા. આના ગણતરીની મિનિટોમાં જ એક બેફામ દોડતી ટ્રકે રોડ સાઈડનો વીજ થાંભલો તોડીને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો પરિવાર કારની અંદર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ પરિવાર હોટલમાં હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે. ગાંભોઈ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં વધતા જતાં માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને હાઈવે પર ઓવરસ્પીડ અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:17 pm

ગૌમાંસ કેસના બાતમીદાર પર હુમલો:દ્વારકાના રૂપેણબંદરમાં પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંક્યા

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં ગૌમાંસના કેસમાં પોલીસને માહિતી આપનાર 24 વર્ષીય યુવક પર પાંચ શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રૂપેણબંદરના છપરાબજારમાં રહેતા જેનુલ ઇશાભાઈ લુચાણીએ અગાઉ ગૌમાંસના એક કેસમાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ બાબતને લઈને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. આ ઘટના 5 એપ્રિલ, 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે બની હતી. જેનુલ દતારી ચોક ખાતે પ્રાથમિક શાળા નજીક હાજર હતો, ત્યારે પાંચ શખ્સોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું. હુમલાખોરોમાં હાજી સિદીક ભેસલીયા, જાવીદ જાકુબ ઇસબાણી, ઇબ્રાહીમ ઉર્ફે નાના ઉમર ભેસલીયા, સલીમ આલી ભેસલીયા અને ડાડા જુમા ભેસલીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલા દરમિયાન, જાવીદ ઇસબાણીએ સાહેદના માથામાં છરીનો ઘા ઝીંક્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ દરમિયાન આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના આદેશનો પણ ભંગ કર્યો હતો. ઘટના અંગે જેનુલ લુચાણીની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ કેસની તપાસ પીએસઆઈ નરેન્દ્રસિંહ સુરુભા ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:13 pm

‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ થકી રાજકોટના પ્રશ્નોને વાચા આપી:કોંગ્રેસે જનતાના સૂચનોને આધારે તૈયાર કરેલો ‘જનતાનો મેનિફેસ્ટો’ રજૂ કર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે, જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી મળેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે. કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે. આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગર રચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. રાજકોટ શહેર માટે કોંગ્રેસના મુખ્ય કમિટમેન્ટ્સ (1) નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ માધાપર, મણહરપુર-1, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા જેવા નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજનું આયોજન કરીશું. (2) ઘરવેરો અને આવાસ 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરીશું અને દસ્તાવેજ ધરાવતા રહેણાંક મકાનો માટે વેરામાં 50% સુધી રાહત આપીશું. 'પહેલા રિહેબિલીટેશન, પછી જ ડિમોલિશન'ના સિદ્ધાંતને અનુસરી વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન નહીં કરીએ. (3) પાણી વ્યવસ્થાપન 15 મિનિટના પાણી વિતરણને વધારી 45 મિનિટ કરીશું. ગટર અને પીવાની લાઈનો અલગ કરી ગંદા પાણીથી મુક્તિ અપાવીશું તથા વોટર ટાસ્ક ફોર્સ બનાવી રાજકોટને પૂરતું પાણી આપીશું. (4) ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરીશું. પાર્કિંગની જગ્યાઓ દબાણમુક્ત કરી ફૂટપાથોને ફરી ચાલવાલાયક બનાવીશું. (5) સિટી બસ સેવા બસ સેવાને સોસાયટીઓ અને નવા વિસ્તારો સુધી પહોંચાડીશું. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપીશું. (6) શિક્ષણ દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળા શરૂ કરી તેનું CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર અને શિક્ષણ માટે WiFi ઝોન ઊભા કરીશું. (7) રમતગમત ઝોન પ્રમાણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવી ફ્રી પ્રોફેશનલ કોચિંગ આપીશું. દરેક ગાર્ડનમાં નાના બાળકો માટે ટોડલર ઝોન હેઠળ વિશેષ સુવિધાઓ ઊભી કરીશું. (8) રિઝર્વ પ્લોટ SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સને તે જ વર્ગના હિત માટે ઉપયોગમાં લઈશું. (9) મહિલા વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ, લાઈબ્રેરી મેમ્બરશિપ અને સુરક્ષિત પિન્ક ટોઈલેટ બનાવીશું. કોર્પોરેશનની ભરતીમાં મહિલાઓને 50% પ્રાધાન્ય આપીશું. (10) આરોગ્ય સેવાઓ દરેક વોર્ડ દીઠ 24/7 આરોગ્ય કેન્દ્રો અને નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશું. સિનિયર સિટિઝનને વાર્ષિક ફૂલ બોડી ચેક-અપ અને ફ્રી દવાઓ આપીશું. (11) પર્યાવરણ અને AQI શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા (AQI) સુધારી પ્રદૂષણનું સ્તર ઘટાડીશું. આ ઉપરાંત શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી-ગલ્લા ધારકોને વ્યાપારિક દરજ્જો, ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ અને પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના. ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. અમારો આ મેનિફેસ્ટો માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:06 pm

પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજની સૌરભ સ્કૂલમાં વિવાદ:ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને શાળા બહાર ઊભા રાખ્યાનો વાલીનો આક્ષેપ, કોઈ ભૂલ વાલીથી થયાનો સ્કૂલનો લૂલો બચાવ

આજથી ધોરણ 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. જે આગામી 11 એપ્રિલના રોજ પૂર્ણ થવાની છે. ત્યારે પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજ વિસ્તારમાં આવેલી શાળામાં વિવાદ સર્જાયો છે. સૌરભ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. 20 કરતા વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી ન હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.ફી ક્યારે ભરશો તેની બાહેંધરી વાલીઓ પાસેથી લીધા બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે. જો કે સ્કૂલે લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને બહાર ઉભા રાખવામાં આવ્યા નથી. મારી દીકરીને પરીક્ષા આપવાની ના પાડી:વાલીવાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીંયા શાળામાં અભ્યાસ કરે છે. સવારે 7.30 વાગ્યે મારી દીકરીના બે ફોન આવે છે. એક ફોન ઉપાડી ન શકી જે બાદ બીજો કોલ ઉપાડ્યો હતો. મારી દીકરીએ એવું કહ્યું હતું કે મને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી છે.ફી અત્યારે ભરશો તો જ પરીક્ષા આપવા મળશે તેવું કહેવામાં આવ્યું હતું. છેલ્લા સેમેસ્ટરની 6 હજાર રૂપિયા ફી બાકી છે,બાકી બધી ફી ભરી દીધી છે.માત્ર મારી દીકરી જ નહીં અન્ય જે વિદ્યાર્થિઓની ફી બાકી હતી તે તમામને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી હતી. 'ફી ભરવાની ખાતરી આપ્યા બાદ પરીક્ષા આપવા દીધી'વધુમાં વાલીએ જણાવ્યું હતું કે, મેં સર સાથે વાત કરી તો તેમણે એવું કહ્યું કે તમારે ફી ભરવી જ પડશે તો જ પરીક્ષા આપવા મળશે.જેથી મેં કહ્યું કે હું આજે ફી ભરી દઈશ તમે પરીક્ષા આપવા દો હું અત્યારે પહોંચી શકું તેમ નથી થોડીવારમાં આવીને ફી ભરી દઈશ. જેથી તરત આવીને કહ્યું કે 27 કલાકમાં હું ફી ભરી દઈશ જે બાદ મારી દીકરીને પરીક્ષામાં બેસવા દીધી હતી. બાકી બીજા વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા.જેના માતા પિતા આવ્યા તેમને કહ્યું કે ફી ભરી દઈશું તેવા જ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવ્યા હતા. 8.30 વાગ્યા સુધી તો જવા દેવામાં પણ આવતા નહતો. એક સાથે ભરવી હોય તો એક સાથે પણ ભરી શકાય છે અને અલગથી ભરવી હોય તો અલગથી પણ ભરી શકાય છે. પરંતુ બધી ભરી દીધી છે ખાલી છેલ્લી સેમેસ્ટરની જ ફી જ બાકી હતી. વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે:ઇન્ચાર્જ પ્રિન્સિપાલસૌરભ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલિકા શાહે જણાવ્યું હતું કે, આજથી પરીક્ષા શરૂ ગઈ છે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી તેમના વાલીને ફોન કરવામાં આવ્યો છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.એવું નથી કે ફી બાકી હોય તો પરીક્ષા નહીં આપવા દઈએ. કોઈપણ વિદ્યાર્થીને બહાર ઊભા રાખવામાં આવતા ન હતા વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:00 pm

ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળ્યા:બાથરૂમની દીવાલમાં સંતાડેલા ફોન મળતા સુરક્ષા ભંગની તપાસ

ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો છે. જેલમાંથી એકસાથે ચાર મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અચાનક કરાયેલી તપાસ દરમિયાન આ મોબાઈલ ફોન બેરેકના બાથરૂમની ઉપરની દીવાલમાં સંતાડેલા મળ્યા હતા. ઝડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક તપાસમાં જેલની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. કડક સુરક્ષા હોવા છતાં આ મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને જેલ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જે બેરેકમાંથી મોબાઈલ મળ્યા છે, તેમાં રહેલા 33 કેદીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. મોબાઈલ કોણ લાવ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થતો હતો અને તેમાં કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાના બનાવો બન્યા હોવાથી, આ ઘટનાએ ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:52 pm

ખારાઘોડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં:40 ડિગ્રી તાપમાનમાં જેસીબી-ડમ્પરોથી કામગીરી ચાલુ

ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની કામગીરી થઈ રહી છે. રણમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા અગરિયાઓ અને મીઠા મજૂરોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રણકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો છે. રણમાં ક્યાંય છાંયડાનું નામોનિશાન ન હોવાથી અગરિયાઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, આકરી ગરમીમાં અકળાઈ ઉઠ્યા છે. અગાઉ રણમાં ટ્રકોમાં પાવડા અને બખડીયા દ્વારા મીઠું ભરવામાં આવતું હતું. ખારાઘોડા ગંજે પણ મજૂરો દ્વારા મીઠું ખાલી કરીને ગંજો બનાવવામાં આવતો હતો. જોકે, યાંત્રિક યુગ આવતા હવે જેસીબી, બુલડોઝર અને ડમ્પરો જેવા સાધનોએ આ કામદારોની જગ્યા લઈ લીધી છે, જેના કારણે અનેક મીઠા કામદારો બેકાર બન્યા છે. મીઠું ખેંચવાની આ સીઝન આગામી અઢીથી ત્રણ મહિના સુધી ચાલવાનો અંદાજ છે. મીઠાના વેપારીઓના મતે, આ વર્ષે રણમાંથી ખારાઘોડા ગંજે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠું આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:50 pm

યુવક કોંગ્રેસ, NSUI દ્વારા RTE ફોર્મ ભરવા હેલ્પ સેન્ટર શરૂ:જામનગરમાં વાલીઓને મફત પ્રવેશ પ્રક્રિયામાં વિનામૂલ્યે મદદ મળશે

જામનગર: આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુથી અમલમાં આવેલા 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયામાં વાલીઓને મદદરૂપ થવા માટે યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા વિનામૂલ્યે હેલ્પ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની UPA સરકાર દ્વારા ૨૦૦૯માં અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો આર્થિક રીતે નબળા બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ સંપૂર્ણ મફત આપવામાં આવે છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી માટે વાર્ષિક ₹૩,૦૦૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. RTEના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 04/04/2026થી 17/04/2026 સુધી ચાલશે. વાલીઓની સુવિધા માટે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા શરૂ કરાયેલા આ હેલ્પ સેન્ટર પર કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફોર્મ ભરી આપવામાં આવશે. આ હેલ્પ સેન્ટર જામનગરમાં ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટરની બાજુમાં કાર્યરત છે. વાલીઓ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન આ સેવાનો લાભ લઈ શકશે. વધુ જાણકારી કે સહાય માટે ડો. તોષીફખાન પઠાણ (88660 55555), શક્તિસિંહ જેઠવા (93268 11111), મહિપાલસિંહ જાડેજા (95585 49999) અને રવિરાજસિંહ ગોહિલ (95325 22222) નો સંપર્ક કરી શકાય છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વાલીઓને સમયમર્યાદામાં આ સેવાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:49 pm

પાટણ પાલિકાએ 2026-27ના વેરા વસૂલાતનો પ્રારંભ કર્યો:એડવાન્સ વેરો ભરવા અરજદારોની ભીડ, 6 કાઉન્ટર પર વ્યવસ્થા

પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતનો સોમવારથી પ્રારંભ કર્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ વેરો ભરવા પાલિકા કચેરી અને સિવિક સેન્ટર ખાતે ઉમટી પડ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા અરજદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેરા વસૂલાતની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે કુલ 6 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે અરજદારોનો વેરો માત્ર 2 થી 4 મિનિટના ટૂંકા સમયમાં સ્વીકારીને પાવતી આપી દેવામાં આવે છે. વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, સોમવારે સવારથી જ અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પાટણ નગરપાલિકાની વેરા શાખાની કચેરીમાં સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત, ગાંધી બાગ સ્થિત સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરે 04:00 વાગ્યા સુધી કરદાતાઓ પોતાનો વેરો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ માટે દિવસમાં 2 થી 3 વખત રિસેસ ટાઈમ પણ રાખવામાં આવ્યો છે, જેથી કામગીરીની સાતત્યતા જળવાઈ રહે. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરવા આવતા નાગરિકોની સવલતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અરજદારોને ઊભા ન રહેવું પડે તે માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉનાળાની સિઝન અને ગરમીને ધ્યાનમાં રાખીને તમામ અરજદારો માટે ઠંડા મિનરલ પાણીની બોટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ભરનાર દાવેદારો પણ પોતાનો વેરો ભરવા માટે દોડી આવ્યા હતા. 10% સીધું વળતર: 6 એપ્રિલ 2026 થી પાલિકાના 5 વિશેષ કાઉન્ટરો શરૂ થશે. જે કરદાતા પોતાની મિલકતનો સંપૂર્ણ વેરો સાથે ભરશે, તેમને 10% વળતર (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. નોટિસ ફી માંથી મુક્તિ: 30 જૂન 2026 સુધી પાણી અને ગટર વેરામાં કોઈ પણ પ્રકારની નોટિસ ફી લાગશે નહીં. એટલે કે, જૂન મહિના સુધીમાં વેરો ભરનારને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળશે. 20% દંડ (પેનલ્ટી) થી બચો: જો તમે 1 જુલાઈ 2026 સુધી વેરો નહીં ભરો, તો પાણી અને ગટર વેરામાં 20% નોટિસ ફી (પેનલ્ટી) લાગુ થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:46 pm

ઉમરગામ નગરપાલિકા ચૂંટણી: 26 એપ્રિલે મતદાન:7 વોર્ડની 28 બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો

ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જેના પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામત બેઠકો હોવાથી મહિલા ઉમેદવારોની ભૂમિકા મહત્વની રહેશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, કુલ 28 બેઠકો માટે અનામતનું માળખું નક્કી કરાયું છે. જેમાં પછાત વર્ગ (OBC) માટે 8 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (ST) માટે 4 બેઠકો અને અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક અનામત રાખવામાં આવી છે. કુલ 14 બેઠકો (50 ટકા) મહિલાઓ માટે અનામત છે, જ્યારે 7 બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 27,859 છે. વસ્તીના વિશ્લેષણ મુજબ, વોર્ડ નંબર 6 સૌથી વધુ વસ્તી ધરાવે છે, જ્યાં 6,514 લોકો વસવાટ કરે છે. જ્યારે વોર્ડ નંબર 7 સૌથી ઓછી વસ્તી ધરાવતો વોર્ડ છે, જેની વસ્તી 2,900 છે. ઉમરગામ નગરપાલિકા પર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રભુત્વ રહ્યું છે. જોકે, આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી એકપણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. તમામ રાજકીય પક્ષો હાલમાં ઉમેદવારોની પસંદગીને લઈને 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. જ્ઞાતિગત સમીકરણો અને મહિલા અનામત બેઠકોને ધ્યાનમાં રાખીને મજબૂત દાવેદારોની પસંદગી માટે પક્ષના મોવડી મંડળમાં ચર્ચાઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરાત થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:45 pm

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:12.77 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, કંટ્રોલરૂમ કાર્યરત

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના અંદાજે 12.77 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિત જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં લોકશાહીના પર્વની ઉજવણી થશે. વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શી રીતે ચૂંટણી સંપન્ન કરવા માટે સુદ્રઢ આયોજન કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા અને લીંબડી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. થાનગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પંચાયત સ્તરે, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો અને જિલ્લાના 10 તાલુકાઓની કુલ 180 તાલુકા પંચાયત બેઠકો માટે સામાન્ય ચૂંટણીનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયપત્રક મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલ, 2026 સુધી ચાલશે, ત્યારબાદ 13 એપ્રિલ, 2026ના રોજ ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 15 એપ્રિલ, 2026 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 07:00 થી સાંજના 06:00 કલાક દરમિયાન યોજાશે. મતગણતરી 28 એપ્રિલ, 2026ના રોજ થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં સંપન્ન થશે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે 10 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. તાલુકા પંચાયત માટે 20 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ અધિકારીઓ, નગરપાલિકાઓ માટે 5 ચૂંટણી અધિકારીઓ અને 5 મદદનીશ અધિકારીઓ, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારીઓ અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જિલ્લામાં કુલ 12,77,560 મતદારો નોંધાયેલા છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 1,94,359, નગરપાલિકાઓમાં 1,10,456 અને જિલ્લા/તાલુકા પંચાયતોમાં 9,72,745 મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો 02752-284300, 285300 અથવા 285400 પર સંપર્ક કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:44 pm

જૈન સમાજની પ્રભુત્વ વાળી બે બેઠકો પર ટિકિટને લઈ વિવાદ:સાબરમતીમાં BJPમાંથી જૈન પુરુષ ઉમેદવાર ઉભો કરવા માગ; પાલડીમાં કોંગ્રેસે લઘુમતી મહિલાને ટિકિટ આપતા ભાજપના પ્રહાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપના બાકી છે. આ વચ્ચે જ સાબરમતી અને થલતેડ વોર્ડમાં ટિકિટને લઈ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. સાબરમતી વોર્ડમાં જૈન સમાજે પુરુષ ઉમેદવારની ટિકિટ આપવા માગ કરી છે. બીજી તરફકોંગ્રેસ દ્વારા 5 એપ્રિલના રોજ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાલડી વોર્ડમાં લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે, ‘વાહ રે કોંગ્રેસ વાહ, પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવાર, અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોંટે થશે.’ સાબરમતી વોર્ડમાં જૈન પુરુષને ટિકિટ આપવા માગગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, ત્યારે સાબરમતી વોર્ડમાં સામાન્ય પુરુષ સીટ પરથી જૈન સમાજને ટિકિટ આપવા અંગેની માગ ઉઠી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, સાબરમતી વિસ્તારના જૈન સમાજ દ્વારા ભાજપમાં સામાન્ય સીટ ઉપરથી જૈન સમાજના કોઈ કાર્યકર્તા કે હોદ્દેદારને ટિકિટ આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે. અહીં પાટીદાર અને જૈન સમાજનું પ્રભુત્વમદાવાદ મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં સાબરમતી વોર્ડમાંથી સામાન્ય મહિલા સીટ ઉપરથી જૈન સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓની જીત થઈ હતી. જોકે આ ચૂંટણીમાં જૈન સમાજમાંથી મહિલાની જગ્યાએ પુરુષને ટિકિટ આપવાની માગ ઉઠી છે. સાબરમતી વિસ્તારમાં સામાન્ય સીટ ઉપરથી અને પુરુષ ઉમેદવારમાં સૌથી વધારે પાટીદાર અને જૈન સમાજના મત હોવાના કારણે ભાજપ દ્વારા બંને સમાજના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે જૈન સમાજ દ્વારા પુરુષ ઉમેદવારની માગ કરવામાં આવી છે, જેની પાછળનું કારણ છે કે તેમના સમાજના કામો અને સ્થાનિક લોકોના કામો પુરુષ ઉમેદવાર કરી શકે છે. મહિલા ઉમેદવાર સમય આપી ન શકતા હોવાના કારણે ઉપર સુધી રજૂઆત થતી નથી, જેને લઇને પુરુષ ઉમેદવારની માગ ઉઠી છે. વિવાદીત અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલાને ટિકિટ નહિઅમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2500થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના નામોની ચર્ચા શહેર સંકલન બેઠકમાં કરવામાં આવી હોવાનું સૂત્રો મુજબ જણાવવામાં આવ્યું છે. જે ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવે છે અને નિર્વિવાદિત કોર્પોરેટરોના નામોની ચર્ચા કરવામાં આવી છે. ત્રણ ટર્મ થઈ ચૂકેલા અને 60 વર્ષથી ઉપરના એક પણ ઉમેદવારની ચર્ચા કરવામાં આવી નથી. થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિવાદસ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે. થલતેજ વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બિલ્ડરનાં પત્નીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહિલા કાર્યકર્તાએ આ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં, બેઠક દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા તેમને આગળ વધીને અભિનંદન આપવામાં આવ્યા હતા. જેનાથી અન્ય કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. પાલડીમાં કોંગ્રેસે લઘુમતિને ટિકિટ આપતા ભાજપે મુદ્દો બનાવ્યોપાલડી વિસ્તારમાં જૈન અને હિન્દુ ધર્મની વસ્તી સૌથી વધારે છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાંથી લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ દ્વારા મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં ધીમે-ધીમે લઘુમતી સમાજનું પ્રભુત્વ વધી રહ્યું છે અને કેટલાક લોકો દ્વારા ત્યાં બાંધકામો ઉભા કરવા અથવા મકાનો ખરીદવામાં આવી રહ્યા હોવાને લઈને ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘કોંગ્રેસે મુસ્લિમ મહિલાને ટિકિટ આપી મેસેજ આપ્યો કે- તમારી સાથે છીએ’અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પાલડી વોર્ડમાં 73 હજારથી વધારે હિન્દુ મતદારો અને 4200 જ મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમ સમાજના મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસે એક મેસેજ આપ્યો છે કે, અમે તમારી સાથે જ છીએ અને પાલડીને જુહાપુરા બનાવવાના છે. જમાલપુરથી જુહાપુરા વાયા પાલડી વાસણા કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, જિલ્લા પંચાયતનાઉમેદવાર આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 1 આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 2

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:41 pm

હનુમાનજીની કથા સ્થળે લઘુમતીના રાઈડ્સ સંચાલનથી હોબાળો:હિન્દુ સંગઠને રાઈડ્સ બંધ કરાવી એક-એકના નામ પૂછ્યા, 50 % ભાગીદારીનો કોન્ટ્રાક્ટર હિન્દુ હોવાનો કાર્યકરોનો આક્ષેપ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથાની બહાર રાઈડ્સના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે.કથા સ્થળે નાના બાળકો માટે રાખવામાં આવેલી રાઇડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકોને આપ્યું હોવાનો કોન્ટ્રાક્ટર પર સ્થાનિક હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે.આ મુદ્દે સંગઠનના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હોબાળો મચાવીને રાઇડસ બંધ કરાવી હતી. ઘનશ્યામ વાવડિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટમાં લઘુમતી સમાજના લોકો સાથે ભાગીદારી કરી હોવાનો પણ હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે કથા સ્થળે સંગઠનના લોકો પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં રાઇડ્સ બંધ કરાવી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. ‘હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી’હિન્દુ સંગઠનના યુવાનોનો આક્ષેપ છે કે, લઘુમતી સમાજના લોકોને રાઈડ્સનું સંચાલન આપીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી છે,જેના કારણે ભારે રોષ ફેલાયો છે.આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે,જેને પગલે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કથા સ્થળે અમારા કાર્યકરોએ ચેકિંગ કર્યું’હિન્દુ એકતા સંગઠનના સભ્ય નયન સકપાલએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ હિન્દુ સંગઠન ગોત્રી દ્વારા આ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અત્યારે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચાલી રહી છે. ત્યાં શાંતિનો ભંગ ન થાય અને અપવિત્રતા ન ફેલાય તે હેતુથી અમે અહીં આવ્યા હતા. અમે કથા સ્થળે મેળાની અંદર અને બહાર એમ બંને બાજુ ચેકિંગ કર્યું.આ દરમિયાન અમને જાણવા મળ્યું કે,મેળામાં જેટલી પણ રાઈડ્સ છે, તે તમામ રાઈડ્સના માલિકો લઘુમતી સમાજના લોકો છે. ‘હિન્દુ કોન્ટ્રાક્ટર 50 ટકા ભાગીદારીમાં છે’નયન સકપાલે વધુમાં જણાવ્યું હતું કે,આ રાઈડ્સના કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈ નામના એક હિન્દુ વ્યક્તિ છે.તેમણે 50 ટકાની ભાગીદારીમાં આ લોકોને હનુમાનજીની કથાની બાજુમાં જ રાઈડ્સનું સંચાલન આપેલું છે.આ બાબતને ધ્યાનમાં રાખીને અને હિન્દુત્વની પવિત્રતા જળવાઈ રહે તે માટે અમે અત્યારે આ બધી જ રાઈડ્સ બંધ કરાવી દીધી છે. આ સમગ્ર મુદ્દે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ જણાવ્યું હતું કે,કથામાં આપણે રાઈડ્સ ચલાવવા માટે માણસો રાખેલા છે.એમાં બે-ત્રણ છોકરાઓ હતા.જે યુપીના છોકરાઓ હતા,તે વતનમાં ગયા હોવાથી આ નવા છોકરાઓ રાખ્યા હતા.એ બાબતે કોઈકે માથાકૂટ કરી હશે પણ હવે બધું પતી ગયું છે.એમની સાથે કોઈ ભાગીદારી નથી.એ માત્ર મારા માણસો જ છે અને રાઈડ્સ પણ મારી પોતાની જ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:33 pm

IPL પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા:સોલા, SG હાઈવે અને ઘાટલોડિયામાં યુવકો રંગે હાથ ઝડપાયા, ID આપનારની શોધખોળ

IPLની ચાલી રહી છે, ત્યારે મેચ પર મોટા પ્રમાણમાં સટ્ટો રમાઈ રહ્યો છે. અમદાવાદ પોલીસે એસ.જી. હાઈવે, ઘાટલોડિયા અને સોલામાંથી જાહેરમાં સટ્ટો રમતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પેલેડિયમ મોલ પાસે યુવક સતત ફોનમાં વ્યસ્ત હતોએસ.જી.હાઈવે પર આવેલા પેલેડિયમ મોલની પાસે વિશાલ પાનપાર્લર આવેલુ છે, જ્યાં જાહેર રોડ પર એક યુવક સતત મોબાઈલ ફોનમાં એક્ટીવ હતો. ઝોન 1ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને શંકા જતા તે યુવક પાસે ગઈ હતી અને તેનો મોબાઈલ લઈ લીધો હતો. યુવક મોબાઈલમાં મેચની આઈડી મળી આવી હતી, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેગ્લુરૂ વચ્ચેની મેચમાં સટ્ટો રમી રહ્યો હતો. યુવકનું નામ શ્યામ પટેલ છે અને તે ચાંદખેડા ખાતે આવેલા ઝુંડાલમાં રહે છે. પોલીસે શ્યામ પટેલની ધરપકડ કરીને વસ્ત્રારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઘાટલોડીયામાંથી પણ એક ઝડપાયો ઝોન 1 લોકલ ક્રાઈમ બ્રાંચની બીજી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તે ઘાટલોડીયા ખાતે આવેલા શ્રીજી ચાયવાલે ખાતે પહોંચ્યા હતા, જ્યા એક યુવક સતત મોબાઈલમાં એક્ટીવ હતો. એલસીબીએ યુવકની અટકાયત કરી લીધી હતી, જેમાં તે મેચમાં સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે બિહારીલાલ કોશ્ટીની ધરપકડ કરી છે, જે અમરાઈવાડી ખાતે રહે છે. 50 વર્ષિય બિહારીલાલને જોલી નામના વ્યકિતએ મેચની આઈડી આપી હતી. પોલીસે બિહારીલાલ અને જોલી વિરૂદ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ત્રીજી ઘટનામાં પણ યુવકના ફોનમાંથી ID મળીસોલા પોલીસે બાતમીના આધારે સોલા ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસેથી વિરાજ ઝાંઝવાડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. આ યુવક પાસે રહેલો મોબાઇલ ફોન ચેક કરતા હિસ્ટ્રીમાં આઇપીએલની રોયલ ચેલેન્જ બેંગલોર અને ચેન્નઇ સુપરકિંગની વચ્ચે રમાઈ રહેલી મેચમાં યુવક સટો રમતો હતો. યુવકની ધરપકડ કરી મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો. સોલા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:15 pm

રાજકોટ કોંગ્રેસના વોર્ડ નં.13ના પૂર્વ કોર્પોરેટર નારાજ:અમને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીએ અંજનાબેનને ટિકિટ આપી, ક્યારે પણ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી, ચૂંટણી પરિણામમાં અસર થઇ શકે

રાજકોટ મનપાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ગઈકાલે 40 ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નારાજગીના સુર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે નારાજગી વ્યક્ત કરી વોર્ડ નંબર 13ના મહિલા ઉમેદવાર અંજનાબેન પંચાસરાને કોઈ ઓળખતું નથી આ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી. આ ચૂંટણીમાં અમે કમલેશ કોઠીવારને ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી અને તેમને ટિકિટ ન આપવામાં આવે તો તેમને પોતાને ફાળવવામાં આવે તેવી માંગ પાર્ટી સમક્ષ રાખી હતી. જો કે પાર્ટીએ કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવી 13 નંબરમાં મિસ્ત્રી સમાજના અંજનાબેનને ટિકિટ ફાળવી છે જેને કોઈ ઓળખતું નથી માટે અમારી સાથ સંકલન કરી ટિકિટ ફાળવી હોત તો પરિણામ યોગ્ય આવી શકત જો કે આ ટિકિટ ફાળવણીથી ચૂંટણીના પરિણામ પર અસર ચોક્કસ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં ટિકીટ જાહેર થયાની ગણતરીની કલાકોમાં જ વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે વોર્ડ નંબર 13ના ઉમેદવારને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જાગૃતિબેન દ્વારા વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલને ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરી હતી જો કે કમલેશ કોઠીવાલના બદલે અંજના પંચાસરાને જાહેર કરતા જાગૃતિબેન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટી દ્રારા અમને સંકલનમાં લીધા વગર જ નામો જાહેર કર્યાં છે જે ઉમેદવારને જાહેર કર્યા તેઓ પાર્ટીના કોઇ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. કોંગ્રેસના નેતા જ ઓળખતા નથી તો કેવી રીતે લોકો ઓળખે તે મોટો સવાલ છે. ટિકિટ ફાળવણી એ પાર્ટીનો નિર્ણય છે માટે પાર્ટીના નિર્ણય સાથે છીએ પરંતુ અમને વિશ્વાસમાં લીધાં હોત તો પરિણામ સારૂ મળ્યું હોત એવું અમારું ચોક્કસ માનવું છે. ચૂંટણી પરિણામ પર આની અસર જોવા મળે તો નવી નહિ કારણ કે લોકો વચ્ચે રહેતા નેતાને ટિકિટ ફાળવવામાં આવી નથી. હું 10 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું મેં આ બહેનને ક્યારે પણ જોયા નથી. કમલેશને આ વોર્ડમાં ટિકિટ આપવાની માંગ એટલા માટે કરી હતી કારણ કે તે સ્થાનિક ઉમેદવાર છે અને લોકો વચ્ચે રહે છે 25 વર્ષથી પાર્ટીનો કાર્યકર છે. જ્ઞાતિ સમીકરણ આધારે અમે આ વિસ્તારમાં કમલેશને ટિકિટ આપવા માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:13 pm

જામનગરમાં નેવી અધિકારીઓની કારનો અકસ્માત, એકનું મોત:વ્હીલ છૂટું પડતાં કાર પલટી, તાલીમાર્થી ગાડીમાંથી બહાર ફંગોળાઈ જતાં મોતને ભેટ્યો, બેને ઈજા

જામનગરના વાલસુરા રોડ પર રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં નેવીના એક તાલીમાર્થી અધિકારીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે અધિકારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેટથી લગભગ એક કિલોમીટર દૂર બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, ત્રણ નેવી તાલીમાર્થી અધિકારીઓ પુણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા અને કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ અનુસાર, કાર ચાલક અનુવ્રત પાંડે ગાડી પૂરઝડપે ચલાવી રહ્યા હતા. અચાનક ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર પલટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુએ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા જામનગર પોલીસમાં કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 12:12 pm

‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’:‘ઉપરથી નીચે સુધી બધા પૈસા ખાવામાં મશગૂલ; ચૂંટણી ટાણે ‘બાપા-બાપા’ ને જીત્યા પછી ‘ટાટા-બાય બાય’, હવે તો ‘પહેલા કામ, પછી જ વોટ’

પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. દિગ્ગજ નેતાઓનું નિવાસસ્થાન, છતાં સુવિધાઓ 'રામ ભરોસે' વોર્ડ નંબર 1માં ભાજપના બે પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ અને મનોજ પટેલ તેમજ વર્તમાન મહામંત્રી સંજય પટેલ જેવા કદાવર નેતાઓ રહે છે. ગત ટર્મમાં અહીં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આ વખતે પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ ચૂંટણી લડવાના નથી, ત્યારે ભાજપમાંથી જ ટિકિટ મેળવવા માટે 20થી વધુ દાવેદારોએ લાઈન લગાવી છે. પરંતુ, પાયાના પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી ઉમેદવારો માટે પ્રચારમાં જવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. સ્થાનિકોનો રોષ: નેતાઓ ફક્ત ચૂંટણીમાં જ દેખાય છે વોર્ડમાં આવેલા ધનાવાડા, ધાંધલના છાપરા અને કાલિકા મંદિર વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. નાગરિકોના અવાજમાં તેમની વ્યથા: નિકેશ ઠાકોર (સ્થાનિક રહીશ)એ જણાવ્યું હતું કે, કાળકા બાગ એક સમયે બાળકોથી ધમધમતો હતો, આજે ત્યાં દારૂડિયાઓ અને જુગારીઓનો અડ્ડો છે. બગીચામાં દારૂની બોટલો પડી હોય છે. આ બગીચા માટે 6 કરોડ રૂપિયા પાસ થયા હતા, પણ એ પૈસા લોકોના ખિસ્સામાં ભરાઈ ગયા હોય તેવું લાગે છે. નેતાઓ અને અધિકારીઓ ફક્ત પૈસા ખાવાની જ વાતો કરે છે. બાબુભાઈ પરમાર (ત્રીસેરિયા વિસ્તાર)એ જણાવ્યું હતું કે, ગંદકીની સમસ્યા એક વર્ષથી સતત ચાલુ છે. કોર્પોરેટરો ચૂંટણી આવે ત્યારે જ આંટા મારે છે, બાકી કોઈ દિવસ ડોકાતા નથી. 'આજ કરીએ, કાલ કરીએ' કહીને આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. નગરપાલિકાનું ખાતું સાવ રામ ભરોસે ચાલે છે, કોઈ પૂછવા વાળું નથી. લલિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચોમાસું આવશે એટલે અમે ડૂબશું. થોડા દિવસ પહેલાં નેતાઓ આવ્યા હતા, હાથમાં કોદાળી પકડાવીને ફોટા પડાવ્યા અને ચાલ્યા ગયા, હજી કામ ચાલુ નથી કર્યું. હવે તો અમારો એક જ મિજાજ છે - પહેલાં રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા કરો તો જ વોટ આપીશું, નહિતર વોટ આપવો જ નથી. ગટર અને પીવાના પાણીની વિકટ સમસ્યા વોર્ડમાં માત્ર રસ્તા જ નહીં, પણ પીવાનું શુદ્ધ પાણી મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. 3-4 દિવસે માંડ પાણી આવે છે અને ગટરો ઉભરાવી એ રોજની સમસ્યા છે. ભુગુબેને જણાવ્યું હતું કે, અમે નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ, પણ દુકાનમાં વરસાદી પાણી ઘુસી જાય છે. ગટર ઉભરાવવાને કારણે છોકરાઓને શાળાએ જવામાં રજા પાડવી પડે છે, તેમનું ભણતર બગડે છે. ત્રણ-ચાર દિવસે પીવાનું પાણી આવે છે, નળવેરો ભરીએ છીએ છતાં આ હાલત છે. વોટ લેવા માટે નેતાઓ 'બાપા-બાપા' કરતા આવે છે, પણ ગરજ સરી જાય એટલે કોઈ ખબર લેતું નથી. કોકિલાબેને જણાવ્યું હતું કે, ગટરનું પાણી સીધું ઘરમાં ભરાય છે. ગંદકીમાં અમારે રાંધવાનું અને ગંદકીમાં જ રહેવાનું? નેતાઓ વોટ લઈને જતાં રહે છે પણ આ નરક જેવી સ્થિતિમાંથી અમને કોઈ બહાર નથી કાઢતું. અમને માત્ર પાણીનો નિકાલ જોઈએ છે. રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગટર ઉભરાવાને કારણે આંગણવાડીના બાળકોને પણ તકલીફ પડે છે. મરણ પ્રસંગ હોય તો પણ નીકળવું મુશ્કેલ છે. રસ્તાઓ બિસ્માર છે. જે નેતાઓ આવશે તેમને અમે સ્પષ્ટ કહીશું કે કામ થશે તો જ મત મળશે. ધાર્મિક અને પ્રવાસન સ્થળોની અવદશા વિશ્વવિખ્યાત રાણકીવાવ આ વોર્ડની નજીક હોવા છતાં પાલિકા પાસે કોઈ આયોજન નથી. જગતજનની કાલિકા માતાના મંદિર પાસે પણ સ્થિતિ દયનીય છે. અશોકભાઈ વ્યાસ (કાલિકા મંદિર વિસ્તાર)એ જણાવ્યું હતું કે, મંદિર અને વાઘેરીવાસ વચ્ચેનો હેરીટેજ રોડ સામાન્ય વરસાદમાં પણ તળાવ બની જાય છે. અધિકારીઓ અને નેતાઓ આ જ પાણીમાંથી પસાર થાય છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. કલેક્ટર અને ચીફ ઓફિસરને અનેક અરજીઓ આપી, પણ પરિણામ શૂન્ય છે. વોર્ડ નંબર 1ના 9627 મતદારો આ વખતે પરિવર્તન અથવા કડક અમલવારીના મૂડમાં છે. પાટીદાર, ઠાકોર અને મુસ્લિમ સમાજ સહિતના જ્ઞાતિ સમીકરણો વચ્ચે અસંતોષનો આ સૂર કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે જોવું રહ્યું. 'પહેલા કામ અને પછી વોટ'નો ગુંજતો આ અવાજ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 11:48 am

AAP ગુનેગારો-આયાતી પર મહેરબાન?:સુરતમાં ખંડણી-ઉઘરાણા સાથે પોસ્ટરકાંડના આરોપીની પત્નીને પણ ટિકિટ મળી, કોંગ્રેસ છોડી આવેલા 7 માટે લાલ જાજમ ખોલી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ખંડણી, ઉઘરાણાના આરોપીઓ અથવા તો પોસ્ટર કાંડના ગુનેગારના પત્નીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. વિવાદાસ્પદ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા તો કોઈ ઓળખતું જ ન હોય એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. શ્રવણ જોષી (વોર્ડ નં.26ના ઉમેદવાર) સસ્તા અનાજની દુકાનોમાં માલિકોને ધમકાવવાનો મામલો ભારે ગાજ્યો હતો. ચંપત ચૌધરીના વીડિયો બાદ શ્રવણ જોષીની સંડોવણી ખૂલી હતી. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં તે અંગે ગુનો દાખલ થયો હતો. આરોપીઓ સામે વેપારીઓએ કડક કાર્યવાહીની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં ગોડાદરા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો. આ સાથે પાસાની પણ કાર્યવાહી થઈ હતી. જ્યારે હવે ભાજપના નેતાએ જ શ્રવણ જોષી સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. શ્રવણે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાઇરલ કર્યો હતો, જેથી તેના વિરુદ્ધ ત્રણ ફરિયાદ થઈ છે. ગઈકાલે જાહેર થયેલી યાદીમાં આપે શ્રવણ જોષીને વોર્ડ નં.26માંથી ટિકિટ આપી છે. તુલસી લાલૈયા (વોર્ડ નં.2ના ઉમેદવાર)સંગઠન મહામંત્રી તુલસી લાલૈયાએ વેપારી પાસેથી 10 લાખની માગ કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. ઇજ્જત-આબરૂ બચાવવા પૈસા ન આપે તો ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદીના પુત્ર પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં માંગણી મુજબ નાણાં ન આપતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખોટી માહિતી રજૂ કરી ફરિયાદીની પ્રતિષ્ઠા ખરડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ફેબ્રુઆરી-2026માં ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દયા કે. પાનસુરિયા (વોર્ડ નં.2ના ઉમેદવાર)પાર્ટીએ આરોપીઓને જ નહીં, પરંતુ આરોપીઓની પત્નીઓને પણ ટિકિટ આપવામાં ભારે રસ દાખવ્યો છે. હાલમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાડવાનો કાંડ ભારે ગુંજ્યો છે. પોસ્ટરમાં નામ, ઠામ નહીં લખવા બદલ ઉત્રાણ પોલીસમાં ગુનો દાખલ થયો છે અને આપ કાર્યકર કિરીટ પાનસુરિયાની ધરપકડ થઇ છે. ધરપકડના બીજા જ દિવસે પાર્ટીએ કિરીટ પાનસુરિયાની પત્ની દયા પાનસુરિયાને વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપી છે. રિંકલ પોશીયા (વોર્ડ નં.3ના ઉમેદવાર)ભુતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બાદ આપ પાર્ટીનું શરણું લીધું હોય એવા ઘણા કિસ્સા છે. તે પૈકીના એક કિસ્સામાં કઠોરની પ્રાથમિક સ્કૂલમાં સિક્યોરિટી કાંડમાં ગાજેલા કાળુ પોશીયાની પત્ની રિંકલ પોશીયાને પાર્ટીએ ટિકિટ આપી છે. તે વખતે સ્કૂલમાં મૂકેલી સિક્યોરિટીના ખર્ચમાં સ્કૂલ સંચાલન સમિતિના કર્તાહર્તા કાળુ પોશીયાનું નામ ગાજ્યું હતું અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસમાંથી આવેલા સાતને AAPમાંથી ટિકિટસુરતમાં કોંગ્રેસનો છેડો ફાડનારા, વિવિધ કેસમાં વગોવાયેલાઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. તેમાં કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક, પ્રતિક કાકલોતર, રઇશા શેખ, આરીફ શાહ, રમેશ જિંજાલા, મહેન્દ્ર રાજપુરોહિત જેવાનો સમાવેશ થાય છે. પાર્ટી બદલુઓને ટિકિટ અપાતા પાર્ટીનો નિર્ણય હાંસીપાત્ર બન્યો છે. હજુ માંડ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં ભળેલા ઉમેદવારોને ટિકિટ આપી દેવાતાં પક્ષમાં લાંબા સમયથી કામ કરતા કેટલાંક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 11:30 am

સચિન હાઈવે પર હિટ એન્ડ રન, યુવતીનું મોત:ત્રિપલ સવાર બાઈકને ટ્રકે ટક્કર મારી; પરિવારના અન્ય બે સભ્યને ગંભીર ઈજાઓ

શહેરના સચિન વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સચિનના વાંજ ગામ પાસેથી એક જ બાઈક પર સવાર થઈને પરિવારના ત્રણ સભ્ય પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બેફામ ગતિએ આવી રહેલી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રકચાલકે કાબૂ ગુમાવતા બાઈક સવારો રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર માર્યા બાદ પણ ટ્રકચાલક વાહન રોકવાને બદલે ઝડપ વધારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 23 વર્ષીય લક્ષ્મીનું ઘટનાસ્થળે મોત, માતાની હાલત ગંભીરઆ અકસ્માતમાં બાઈક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવતીની માતા હંસાબેન અને પરિવારના અન્ય એક સભ્યને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. ફરાર ટ્રકચાલક વિરુદ્ધ સચિન પોલીસે ગુનો નોંધ્યોઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક લક્ષ્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 11:12 am

બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત, એક ગંભીર:શોભાસણથી ટેચાવા હાઇવે પર અકસ્માત, ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર

સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. Iગઇકાલે(5 એપ્રિલ) સવારે અમૃતજી પુંજાજી વાઘેલા, ભાલાભાઈ મણાભાઈ વાઘેલા અને રણજીતજી વાઘેલા મોટરસાઇકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતજી અને ભાલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તમાકુના સેમ્પલ બતાવવા માટે બાઇક પર નીકળ્યા હતાસાબરકાંઠા જિલ્લાના પહાડી પોલના રહીશ અજયકુમાર વાઘેલાના પિતા અમૃતજી પુંજાજી વાઘેલા અને તેમના ગ્રામજન ભાલાભાઈ મણાભાઈ વાઘેલા રવિવારે સવારે તમાકુના સેમ્પલ બતાવવા માટે મોટરસાઇકલ GJ-07-DR-8441 લઈને નીકળ્યા હતા. તેમની સાથે રણજીતજી પોપટજી પણ સવાર હતા. ટ્રકે બાઇકને ટક્કર મારીગઇકાલે સવારના આશરે 11:30 વાગ્યાની આસપાસ શોભાસણથી ટેચાવા વચ્ચેના હાઇવે પર સામેથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ટાટા કંપનીની ટ્રક GJ-12-BY-1391ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અમૃતજી વાઘેલા અને ભાલાભાઈ વાઘેલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્તને અમદાવાદ રીફર કરાયાઅકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતજી વાઘેલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. લાડોલ પોલીસે અજય કુમારની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:22 am

અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી:ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

અમદાવાદમાં સ્કૂલ,કોર્ટ,પાસપોર્ટ ઓફિસ બાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા RTO દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી રાણીપ પોલીસ સ્થળ પર પહોચી છે. પોલીસ દ્વારા RTO ખાલી કરાવવામાં આવ્યું છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:18 am

વન્યજીવો માટે સ્પેશિયલ કૂલિંગ વ્યવસ્થા:ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને કાળઝાળ ગરમી-લૂથી બચાવવા મીટકુલ્ફી અને પાંજરામાં કૂલર ફોગર્સની સુવિધા

ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કના અબોલ વન્યજીવોને ગરમીની લૂ ન લાગે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા વીઆઈપી કક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાર્કમાં વસતા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓથી લઈને નાના પક્ષીઓ સુધીના તમામ જીવો માટે ઉનાળાને હરાવવા ખાસ સમર પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આકરી ગરમીમાં પ્રાણીઓ તણાવમુક્ત રહે અને તેમનું તાપમાન જળવાઈ રહે તે માટે ટેકનોલોજી અને કુદરતી પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. ઠંડક આપતા ખોરાકનું પણ આયોજનરાજ્યભરમાં ઉનાળાનો પ્રકોપ વધતા અને તાપમાનનો પારો આસમાને પહોંચતા માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ વન્યજીવો પણ હીટવેવની ચપેટમાં આવી જતા હોય છે. ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ ઈન્દ્રોડા નેચર પાર્કમાં ઉનાળાની આ આકરી ગરમીથી વન્યજીવોને રક્ષણ આપવા માટે ગીર ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પાર્કમાં વસતા 600થી વધુ પશુ-પક્ષીઓ અને સરીસૃપોને ગરમીથી બચાવવા માટે આધુનિક કૂલિંગ સિસ્ટમથી લઈને ઠંડક આપતા વિશિષ્ટ ખોરાક સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. પાંજરાઓમાં ગરમી ઘટાડવા વોટર કૂલર લગાવાયાગરમીના લીધે તાપમાન વધતા વન્યજીવો પર તેની સીધી શારીરિક અસર જોવા મળતી હોય છે, જેને નિયંત્રિત કરવા માટે ઈન્દ્રોડા પાર્કના સત્તાવાળાઓ દ્વારા પાંજરાઓમાં ગરમી ઘટાડવા માટે વોટર કૂલર અને આશરે 80 જેટલી ખસની ટટ્ટીઓ લગાડવામાં આવી છે. આ ખસની ટટ્ટીઓ પર સમયાંતરે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પાંજરાની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતા 3થી 4 ડિગ્રી જેટલું નીચું રહે છે. ખોરાકમાં પણ ઉનાળા અનુરૂપ ફેરફારો કરાયાઆ ઉપરાંત હવામાં ઠંડક પ્રસરાવવા માટે પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર્સ અને સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ફુવારાઓ દ્વારા થતો પાણીનો ઝીણો છંટકાવ વાતાવરણને આહલાદક બનાવે છે અને પ્રાણીઓને લૂ લાગવાથી બચાવે છે. ઉપરાંત પ્રાણીઓની જીવનશૈલી અને ખોરાકમાં પણ ઉનાળાને અનુરૂપ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમ કે માંસાહારી અને હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ અને દીપડા માટે ગીર ફાઉન્ડેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ હિંસક પ્રાણીઓને આઈસ ક્યુબમાં થીજવેલું મીટ એટલે કે માંસના ટુકડા આપવામાં આવે છે. જે એક પ્રકારે તેમના માટે આઈસ કુલ્ફી સમાન સાબિત થાય છે. આ પદ્ધતિથી પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તેઓને પૂરતું હાઈડ્રેશન પણ મળે છે. અન્ય નાના કદના પ્રાણીઓ માટે પણ વિશિષ્ટ ડાયેટ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જજેમના રહેઠાણની વ્યવસ્થામાં પણ કુદરતી અને કૃત્રિમ સંતુલન જાળવવામાં આવ્યું છે. ઈન્દ્રોડા પાર્કના પાંજરાઓમાં પૂરતા પ્રમાણમાં ઘટાદાર વૃક્ષો હોવાથી પ્રાણીઓને કુદરતી છાંયો તો મળે જ છે પરંતુ વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ માટે ખાસ ઠંડી ગુફાઓ બનાવવામાં આવી છે, જ્યાં તેઓ બપોરના સમયે આરામ કરી શકે છે. જ્યારે રાત્રિના સમયે પણ ઉકળાટ ન થાય તે માટે નાઈટ શેલ્ટરમાં પંખા અને વધારાના કૂલરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આમ ગરમી સામેના આ જંગમાં વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:57 am

પિયરમાં છઠ્ઠા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત:પતિ અવારનવાર હેરાન કરી ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો, અમદાવાદમાં પતિ સામે ગુનો નોંધાયો

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીના લગ્નના 15 વર્ષ થયા છતાં પતિ અવારનવાર હેરાન કરી ત્રાસ આપતી હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પિયરમાં છઠ્ઠા માળેથી કુદીને પરિણીતાનો આપઘાતનવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન આશાના 15 વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે.20 માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું તે આશા કૂદી ગઈ છે તેથી તમે જલ્દી ઘરે આવો.દીપક ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઇ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિશા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. પતિ ડિવોર્સની ધમકી આપતો હતોદિપકએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ આશાના 15 વર્ષ અગાઉ ચિત્તોડગઢમાં રહેતા વિપુલ શર્મા સાથે લગ્ન થયા હતા.નવેમ્બર 2025માં આશાના સાસુએ આશાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમે આશાને લઈ જાવ.જેથી આશાના માતા તેને લઈને અમદાવાદ આવ્યા હતા.આશા પરત આવી ત્યારે તેની માનસિક સ્થિતિ સારી નહોતી જેથી વસ્ત્રાપુર ખાતે માનસિક સારવાર ચાલી રહી હતી.આશા જ્યારે પિયરમાં આવી ત્યારે આશાએ પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે લગ્નના ચાર પાંચ દિવસ બાદથી વિપુલે માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું છે.આશાની સારવાર ચાલુ હતી ત્યારે પણ વિપુલ આશાને ફોન કરીને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને ડિવોર્સ આપવાની ધમકી પણ આપતો હતો. ‘મને યોગ્ય લાગશે તો જ સાથે રાખીશ નહીંતર ડિવોર્સ આપી દઇશ’13 ફેબ્રુઆરીના રોજ આશાને મળવા વિપુલ અમદાવાદ આવ્યો હતો ત્યારે વિપુલ ગુસ્સે થઈ ગયો હતો,વિપુલે આશા અને પરિવારને ધમકી આપી હતી કે હું આશાને લઈ જઈશ તો એક જ શરત ઉપર લઈ જઈશ,હું તેને મારી સાથે એક વર્ષ સુધી રાખીશ અને મને યોગ્ય લાગશે તો સાથે રાખીશ નહીં તો ડિવોર્સ આપી દઈશ.આશાના આપઘાતના એક દિવસ પહેલા પણ વિપુલે આશાને ફોન કરીને માનસિક ત્રાસ આપી ડિવોર્સની ધમકી આપી હતી.જે બાબતે લાગી આવતા આશાએ નવા વાડજના મંગલા ગૌરી રેસીડેન્સીમાં છઠ્ઠા માટેથી કુદીને આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે વાડજ પોલીસે વિપુલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:45 am

ઉમંગ ટીમે મીઠાપુરમાં મહિલા બોક્સ ક્રિકેટમાં હેટ્રિક વિજય મેળવ્યો:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં 10 ટીમોએ ભાગ લીધો

મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા મહિલાઓ માટે આયોજિત બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ઉમંગ ટીમે વિજય મેળવી હેટ્રિક નોંધાવી છે. આ સ્પર્ધામાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો.મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા આ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમ ઉમંગને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.ઉમંગ ટીમે સતત ત્રીજા વર્ષે આ સ્પર્ધા જીતીને હેટ્રિક નોંધાવી છે. આ ટીમમાં અંજલીબેન પાટીલ, આરતીબેન સામાણી, સીમાબેન ધોકાય, સંગીતા કામળ અને કામિનીબેન નાયર જેવી મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ ઘર અને રમતગમત બંને ક્ષેત્રે સક્રિય રહે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:43 am

'શરમ આવે છે?, આ વિસ્તાર ભૂલી જજો, વોટ નહીં મળે':સુરતમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના BJP નેતાઓ સામે કાળા પાણીની ડોલ લઈ જનતા ઉતરી, 20 વર્ષનો રોષ ઠાલવ્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે જનતા વચ્ચે જઈને પ્રસાર-પ્રચાર શરૂ કર્યો છે. આ વચ્ચે સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું પડકારજનક બની રહ્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ 5 એપ્રિલના રોજ અન્ય નેતાઓ સાથે જ્યારે પોતાના વિસ્તાર (વોર્ડ નં.9)માં પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા, ત્યારે તેમને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાના બજેટ રજૂ કરનાર અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડેહાથ લીધા હતા. ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેરી સવાલોનો મારો ચલાવ્યોરાંદેર ગામમાં રાંદેર ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. સ્થાનિકોએ સીધો સવાલ કર્યો હતો કે, ‘તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાયા છો? આજે મતોની જરૂર પડી ત્યારે જ કેમ આવ્યા?’ લોકોએ મોઢામોઢ કહી દીધું હતું કે, વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ બાકી છે, છતાં કોઈ દરકાર લેવા આવ્યું નથી. નેતાઓ જ્યારે આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા વાયદાઓ તો અમે છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ. ગંદા પાણીની ડોલ લઈને વિરોધ, પૂર્વ ચેરમેન જોતા જ રહી ગયાવિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ ત્યારે જોવા મળ્યું, જ્યારે સ્થાનિક રહીશ હાથમાં ગંદા પાણીની ડોલ લઈને રાજન પટેલની સામે આવી પહોંચ્યા હતા. આ ડોલમાં કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી હતું, જે સ્થાનિકોના ઘરે નળમાં આવી રહ્યું છે. લોકોએ આ ગંદા પાણીની ડોલ બતાવીને નેતાઓને પૂછ્યું હતું કે, ’શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની વાતો કરો છો પણ અમને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી.’ આ દૃશ્ય જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોઈ ઉત્તર આપી શક્યા નહોતા. કરોડોનું બજેટ રજૂ કરનાર રાજન પટેલ સામે લોકરોષઉલ્લેખનીય છે કે, રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત શહેર માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી બજેટ મંજૂર કર્યા હતા. જોકે, તેમના જ મતવિસ્તારમાં જ્યારે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા અને પીવાના પાણીની સમસ્યા વણઉકેલાયેલી જોવા મળી, ત્યારે જનતાએ તેમને આ બાબતે ઘેર્યા હતા. લોકોમાં એવી લાગણી જોવા મળી હતી કે કાગળ પરના કરોડોના બજેટ સામાન્ય માણસના ઘર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. મહિલાઓ- વૃદ્ધોએ સીધુ જ કહી દીધુ- ‘આ વખતે વોટ નહીં મળે’આ વિરોધ પ્રદર્શનમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે બીમારીઓ ફેલાઈ રહી છે અને રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અવરજવર કરવી મુશ્કેલ બની છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી કોઈ વોટ આપવાનું નથી. લોકોએ નેતાઓને સાફ કહી દીધું હતું કે માત્ર ચૂંટણી સમયે જ દેખા દેતા નેતાઓને હવે જનતા સ્વીકારવાના મૂડમાં નથી. આ પણ વાંચો… ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર, પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, ચૂંટણી બહિષ્કારની ચીમકીકાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે તીખી તકરારજ્યારે જનતાનો રોષ વધી રહ્યો હતો, ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બચાવ કરવાની કોશિશ કરી હતી. એક કાર્યકર્તાએ જ્યારે સ્થાનિકોને એમ કહ્યું કે, તમે આ બાબતે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા?, ત્યારે લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે અમે અગણિત વાર ફરિયાદો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. આ દરમિયાન જ્યારે કોઈએ મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિકો ભડક્યા હતા અને કહ્યું હતું કે, અમે કેમ વીડિયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો?

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:29 am

ભરણપોષણ ન ચૂકવનાર 3 ફરાર આરોપી ઝડપાયા:ગીર સોમનાથ પોલીસે ફેમિલી કોર્ટના વોરંટ હેઠળ જુનાગઢ જેલહવાલે કર્યા

ગીર સોમનાથ જિલ્લામાં કાયદાનો કડક અમલ જોવા મળ્યો છે. ફેમિલી કોર્ટ કોડીનાર અને ઉના દ્વારા જારી કરાયેલા ભરણપોષણની ચડત રકમ ન ચૂકવનાર તથા સજા વોરંટ હેઠળ નાસતા ફરતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જુનાગઢ જેલ હવાલે કર્યા છે. કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. વણારકા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રથમ કેસમાં, અરણેજ ગામના વજુભાઈ પુંજાભાઈ પઢીયાર વિરુદ્ધ ફેમિલી કોર્ટ ઉના દ્વારા ₹14,000ની ભરણપોષણ રકમ ન ચૂકવવા બદલ 210 દિવસની સાદી કેદની સજા ફરમાવવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આ આરોપીને પેઢાવાડા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં, કડવાસણ ગામના ભાવસિંગ કાળાભાઈ ચાવડા વિરુદ્ધ ફેમિલી કોર્ટ કોડીનાર દ્વારા ₹92,400ની ભરણપોષણ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ 660 દિવસની સાદી કેદની સજા નક્કી કરાઈ હતી. લગભગ વીસ દિવસથી ફરાર આ આરોપીને અંબુજા ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્રીજા કેસમાં, કોડીનારના જીન પ્લોટ વિસ્તારમાં રહેતા દિલાવરભાઈ જુમાભાઈ પાયક વિરુદ્ધ ફેમિલી કોર્ટ ઉના દ્વારા ₹18,000ની ભરણપોષણ રકમ બાકી રાખવા બદલ 360 દિવસની સાદી કેદની સજા ફરમાવવામાં આવી હતી. એક મહિનાથી નાસતા આ આરોપીને સરગમ ચોક પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ત્રણેય કેસમાં આરોપીઓએ તેમની પત્ની અને સંતાનોના ભરણપોષણ માટે કોર્ટ દ્વારા નક્કી કરાયેલી માસિક રકમ ચૂકવવામાં નિષ્ફળતા દાખવી હતી. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી તેઓ લાંબા સમયથી ફરાર હતા, જેના પગલે સજા વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને જુનાગઢ જેલ હવાલે કર્યા છે. ગીર સોમનાથ પોલીસે આ કામગીરી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોર્ટના આદેશોનું પાલન કરવું ફરજિયાત છે. ખાસ કરીને ભરણપોષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં બેદરકારી દાખવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:24 am

AI વીડિયો કાંડમાં પૂછપરછ દરમિયાન ‘આપ’ના ઉમેદવારની તબિયત લથડી:કાર્યકરો શ્રવણ જોશીને ઊંચકીને પોલીસ સ્ટેશન બહાર લાવ્યા, ટિકિટ મળ્યાંની ઉજવણી પણ ન કરી શક્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 26ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એકતરફ ઉમેદવારોના નામ જાહેર થતા પ્રચારની તૈયારીઓ ચાલતી હોય છે, ત્યાં શ્રવણ જોશી ગોડાદરા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન બેભાન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. બે કાર્યકર્તાઓ દ્વારા ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવ્યા હતા, જેના દૃશ્યો પણ સામે આવ્યાં છે. પૂર્વ કોર્પોરેટરનો AI વીડિયો વાઇરલ કરવાનો મામલોપૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ મામલે અમિતસિંહ રાજપૂતે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હવે જાહેર થયેલા ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે નિવેદન નોંધાવવા માટે શ્રવણ જોશી પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્રણ કલાકની પૂછપરછ બાદ તબિયત લથડીગોડાદરા પોલીસ મથકમાં શ્રવણ જોશીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનમાં અંદાજે ત્રણ કલાક સુધી સતત પૂછપરછ અને નિવેદન લેવાની કામગીરી ચાલી હતી. આ દરમિયાન શ્રવણ જોશીને અચાનક પરસેવો થવા લાગ્યો હતો અને તેઓ શારીરિક અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. નિવેદન આપતી વેળાએ જ તેઓ અચાનક ખુરશી પરથી ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. પોલીસ મથકમાં જ ઉમેદવાર બેભાન થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક મેડિકલ સહાય માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયું પણ ઉજવણીને બદલે હોસ્પિટલચોંકાવનારી વાત એ છે કે, જ્યારે શ્રવણ જોશી પોલીસ મથકમાં પૂછપરછ હેઠળ હતા અને બેભાન થયા, બરાબર તે જ સમયે આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વોર્ડ નંબર 26માંથી શ્રવણ જોશીને સત્તાવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉમેદવાર તરીકે નામ જાહેર થાય ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ હોય છે, પરંતુ શ્રવણ જોશીના કિસ્સામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી. તેઓ ઉજવણી કરી શકે તેવી સ્થિતિમાં નહોતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માનસિક ત્રાસને કારણે તબિયત બગડીઃ વકીલશ્રવણ જોશીના વકીલ અભિષેકસિંહ રાજપૂતે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, આ સ્પષ્ટપણે માનસિક ત્રાસનો કેસ છે. શ્રવણ જોશીની તબિયત અગાઉથી જ નરમ હતી, તેમ છતાં તેમને ત્રણ કલાક સુધી બેસાડી રાખી પૂછપરછ કરવામાં આવી હતી. વકીલનો આરોપ છે કે, શ્રવણ જોશીએ ભૂખ લાગી હોવાથી જમવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા તેમની વાત સાંભળવામાં આવી નહોતી અને સતત નિવેદન લેવાનું ચાલુ રખાયું હતું. યોગ્ય રીતે નિવેદન ન લેવાતા અને શારીરિક નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હોવાનું વકીલે ઉમેર્યું હતું. શ્રવણ જોશી ઉપર આ ત્રીજો કેસપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રવણ જોશી સામે નોંધાયેલો આ પ્રથમ ગુનો નથી. આ તેમની ઉપરનો ત્રીજો કેસ છે. અગાઉ ખંડણી મામલે બે કેસ નોધાઇ ચૂક્યા છે પાસાના ઓર્ડર પણ થયા છે જોકે હાઇકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:32 am

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોલીસ સક્રિય:કાયદો વ્યવસ્થા જાળવવા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિટી બી ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવાનો છે. આ ઉપરાંત, પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી પણ સઘન બનાવી છે. આ પગલાંઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:26 am

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત:બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવાનના મોત, બે ગંભીર રીતે ઘાયલ

સુદામાપુરી પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ત્રણ આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બે યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનોના શ્વાસ થંભી ગયા હતા. મૃતક યુવાનોની વિગત અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે: તબીબોએ આ ત્રણેય યુવાનને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્તોની સ્થિતિ આ અકસ્માતમાં અન્ય બે યુવાનને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે: સમગ્ર શહેરમાં શોકનું મોજું ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:16 am

NW-48 પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની:કચ્છથી રાજસ્થાન સુધીના નેશનલ વોટરવે માટે કવાયત

રાજસ્થાન અને કચ્છ વચ્ચે સીધી જળમાર્ગ કનેક્ટિવિટી ઊભી કરતા મહત્વાકાંક્ષી ‘જવાઈ-લૂણી-કચ્છનું રણ નેશનલ વોટરવે (NW-48)’ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સંબંધિત અધિકારીઓને આ વોટરવેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને કાર્ગો પરિવહન અને નિકાસ માટે સસ્તી વોટરવે કનેક્ટિવિટી પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને IIT મદ્રાસને આ પ્રોજેક્ટના ટેકનિકલ-નાણાકીય પાસાઓનું સઘન મૂલ્યાંકન કરવા અને જહાજોના અંદાજિત ટ્રાફિક અંગેનો તુલનાત્મક અભ્યાસ રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, 24 ઓક્ટોબર 2025 ના રોજ આ પ્રોજેક્ટ સંદર્ભે રાજસ્થાન સરકાર અને IWAI વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા હતા. બેઠકમાં IIT મદ્રાસના પ્રોફેસર કે. મુરલીએ DPR ની તૈયારીઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.નેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. રાજસ્થાનમાં પણ સ્થપાશે ‘NTCPWC’ સેન્ટરઆ બેઠકમાં નેશનલ વોટરવે-48 ની સાથે સાથે રાજ્યમાં પ્રસ્તાવિત ‘નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સના નિર્માણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભારત સરકારના બંદર અને જળમાર્ગ મંત્રાલય હેઠળ ‘સાગરમાલા પ્રોજેક્ટ’ અન્વયે IIT મદ્રાસ ખાતે કાર્યરત આ સેન્ટરની એક શાખા રાજસ્થાનમાં પણ પ્રસ્તાવિત છે. આ સેન્ટર NW-48 પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપશે. જહાજો કેટલી સરળતાથી ચાલી શકશે, પાણીનું સ્તર કેવું રહેશે અને પર્યાવરણને શું અસર થશે તે તમામ ટેકનિકલ માપદંડો નક્કી કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. કચ્છ અને ગુજરાત માટે પ્રોજેક્ટનું મહત્વનેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. આ જળમાર્ગ પેટ્રોકેમિકલ્સ, ખનિજ, સિમેન્ટ, રસાયણો અને અન્ય ઔદ્યોગિક માલસામાનના નિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેનાથી પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વ્યાપારી ગતિવિધિઓને નવો વેગ મળશે, જે બંને રાજ્યોના વિકાસનો મજબૂત આધારસ્તંભ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:01 am

સફેદ રણ બન્યું ફિલ્મ સિટી:અભિનેતા જોન અબ્રાહમ અને હર્ષવર્ધન રાણે સહિતના કલાકારો ફોર્સ-3ના શૂટિંગ માટે કચ્છમાં, એક્શન દ્રશ્યો ફિલ્માવાયા

વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી સિતારાઓનો મેળાવડો જામ્યો છે. બોલિવૂડના એક્શન હીરો જોન અબ્રાહમ પોતાની આગામી એક્શન ફિલ્મ ફોર્સ-3ના શૂટિંગ માટે હાલ કચ્છમાં છે. તેમની સાથે અભિનેતા હર્ષવર્ધન રાણે સહિતની મોટી સ્ટારકાસ્ટ પણ કચ્છના મહેમાન બન્યા છે. છેલ્લા પાંચ કે છ દિવસથી ટીમ ધોરડો સહિતના આસપાસના વિસ્તારમાં શુટિંગ કરી રહી છે. આ ફિલ્મ એક એક્શન ડ્રામા હોવાથી કચ્છના વિશાળ સફેદ રણ અને અદભૂત લોકેશન પર મોટા પાયે એક્શન સીન્સ ફિલ્માવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું અગાઉ અમદાવાદ અને ધોરાજીમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ હવે કચ્છની પસંદગી કરાઈ છે. શૂટિંગનું શિડ્યુલ એટલું વ્યસ્ત છે કે કલાકારો વહેલી સવારે લોકેશન પર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ફિલ્માંકન ચાલે છે. કચ્છમાં અગાઉ ‘લગાન’, ‘રેફ્યુજી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી અનેક સુપરહિટ બોલીવુડ, ઢોલીવુડની ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રણ ઉત્સવને કારણે વૈશ્વિક ફલક પર ચમકેલું કચ્છ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ શૂટિંગનું મનપસંદ હબ બની રહ્યું છે. પ્રવાસન સાથે હવે ફિલ્મી દુનિયાના આકર્ષણથી કચ્છની લોકપ્રિયતા અને સ્થાનિક રોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:00 am

કેબલ ચોર પોલીસના સકંજામાં:ટુંડા સ્થિત કંપનીમાંથી કોપર કેબલ ચોરનાર 4 આરોપીઓને પકડી લેવાયા

મુન્દ્રા તાલુકાના ટુંડામાં આવેલ અદાણી એમપીએલ કંપનીમાંથી કોપર વાયર અને રોડની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે રૂપિયા 12.49 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.રાણાએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા ટીમને સુચના તથા માર્ગદર્શન આપ્યો હતો.જેને ધ્યાને લઇને ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી અબ્દુલકરીમ સલીમ શેખ,અજીજ અબ્દુલ્લા જુણેજા,સમીર ઉર્ફે કારો સલીમ શેખ અને ઉસ્માન સલીમ જુણેજાને ઝડપી લીધા છે. મુંદરા પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, અબ્દુલકરીમ સલીમ શેખ રહે. સુખપર, મુંદરા તથા અજીજ અબ્દુલ્લા જુણેજા રહે. સુખપર, મુંદરા વાળાએ અદાણી એમપીએલ કંપનીના પોકેટ-01 તથા પોકેટ 05 માં માંથી કોપર વાયરની ચોરી કરેલી છે. બાતમીને આધારે પોલીસે બન્ને આરોપીને પકડી લીધા બાદ પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે ISGEC કંપનીમાંથી ફ્લેક્સીબલ કોપર વાયર પૈકી અમુક મુદ્દામાલ સીમર ઉર્ફે કારો સલીમ શેખના ઘરે રાખેલ તેમજ અન્ય મુદ્દામાલ દરિયા કિનારે ઝાડીમાં સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 12.49 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:49 am

મંડે પોઝિટીવ:બંને હાથ ગુમાવવા છતાં બુલંદ હોંસલાથી ખેતી કરતા નરાના 54 વર્ષીય શીખ ખેડૂત

“મન મક્કમ હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” આ કહેવતને લખપત તાલુકાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરા (પંજાબીવાંઢ) ના 54 વર્ષીય હરજીન્દ્રસિંઘ રાયશીખે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે. 25 વર્ષ પહેલાં એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દેવા છતાં, તેઓ આજે જાતે ટ્રેક્ટર અને જીપ ચલાવી, ખેતીકામ કરી પોતાના પરિવારનું હસતા મુખે ગુજરાન ચલાવી રહ્યા છે અને સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 1965ના ભારત-પાક યુદ્ધ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છની સરહદને સુરક્ષિત કરવા શશક્ત લોકોને વસાવવાની નીતિ અંતર્ગત નરા વિસ્તારમાં મોટી સંખ્યામાં શીખ પરિવારોને જમીન આપીને વસાવાયા હતા. હરજીન્દ્રસિંઘના દાદા નરેન્દ્રસિંઘ રાયશીખ અને પિતા નાનકસિંઘ રાયશીખ પણ ત્યારે પંજાબથી અહીં આવીને વસ્યા હતા. હરજીન્દ્રસિંઘનો જન્મ અને લગ્ન પણ નરામાં જ થયા છે અને તેઓ પોતાના દાદાને મળેલી ચાર એકર જમીનમાં ખેતી કરે છે. વર્ષ 2001માં કચ્છમાં અપૂરતા વરસાદને કારણે રોજગારી માટે હરજીન્દ્રસિંઘ પંજાબ ગયા હતા. ત્યાં એક વાડીમાં ખેતીકામ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરમાંથી અચાનક ભારે વીજ કરંટ લાગતા તેમને પોતાના બંને હાથ ગુમાવવા પડ્યા હતા. હાથ કપાઈ ગયા ત્યારે અન્ય દિવ્યાંગ લોકોને જોઇ હિમ્મત આવી“જ્યારે હાથ કપાઈ ગયા ત્યારે ક્ષણભર માટે વિચાર આવ્યો કે બીમાર માતા-પિતા, પત્ની અને બે પુત્રીઓનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે?” હરજીન્દ્રસિંઘે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું. “પરંતુ દવાખાનામાં મેં એવા અનેક લોકોને જોયા જેમની પાસે હાથ-પગ કે આંખો ન હતી, છતાં તેઓ હિંમતભેર જીવી રહ્યા હતા. બસ, મેં પણ મનોમન નક્કી કરી લીધું કે કિસ્મતમાં જે છે તે સ્વીકારીને મારે તો માત્ર બે હાથ જ નથી, બાકી શરીર તો સાબૂત છે.” લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા : પરિવારના સહયોગથી ખેતી અને જવાબદારીનું વહનપંજાબથી નરા પરત ફર્યા બાદ તેમણે ખેતરમાં માતા-પિતા અને પત્નીને મદદ કરવાનું શરૂ કર્યું. અદમ્ય ઇચ્છાશક્તિથી તેઓ બંને હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને તેમાં સફળતા પણ મેળવી. તેઓ માત્ર ટ્રેક્ટર જ નહીં, જીપ પણ સરળતાથી ચલાવી લે છે. એટલું જ નહીં, તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે હેન્ડ પંપ પણ ચલાવી લે છે. તેમની હિંમતને પત્નીના અતૂટ સાથનો ટેકો મળ્યો છે. હાથ ન હોવાથી જમવા માટે ક્યારેક પત્ની તો ક્યારેક પુત્ર તેમને જમાડે છે. આ સંઘર્ષમય જીવન વચ્ચે પણ તેમણે પોતાની બંને પુત્રીઓને સારી રીતે પરણાવી છે. ચાર વર્ષ પહેલાં ટીબીથી પીડાતા પિતાનું અવસાન થયું હતું અને હાલ પાંચ વર્ષથી લકવાગ્રસ્ત પથારીવશ માતાની સેવા અને બે નાના પુત્રોના અભ્યાસની જવાબદારી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. સરકારી સહાયની હજુ પણ પ્રતીક્ષાહરજીન્દ્રસિંઘે જણાવ્યું કે તેમને હાથ ગુમાવ્યાનો લેશમાત્ર રંજ નથી. જોકે, થોડા દિવસો અગાઉ આવેલા મિની વાવાઝોડામાં તેમના મકાનના છાપરા ઉડી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સરકારી સહાય મળી નથી, જે એક ખેદજનક બાબત છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:49 am

તંત્ર નિદ્રામાં:‘રોડ ટુ હેવન’ પર ડ્રોનથી સુરખાબ ત્રસ્ત, ખડીરમાં ફોસિલ ધ્વસ્ત!

કચ્છના સરહદી વિસ્તારમાં સુરક્ષા અને પર્યાવરણની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રોન દ્વારા શૂટિંગ કરવા માટે પોલીસ અને સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. તેમ છતાં, ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં ફરી એકવાર ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં હજારોની સંખ્યામાં આવેલા ફ્લેમિંગો પક્ષીઓ ઉપરથી ડ્રોન ઉડાડીને શૂટિંગ કરવામાં આવ્યું છે. પક્ષીવિદનાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાલ અંદાજે 50 થી 60 હજાર જેટલા ફ્લેમિંગો પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. માનવ વસાહતથી દૂર રહેવા ટેવાયેલા ફ્લેમિંગો હાલ વાહનવ્યવહાર ઓછો હોવાથી પક્ષીઓ નિર્ભય રીતે રોડ નજીકના પાણી વિસ્તારમાં જોવા મળે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ આ જ સંવેદનશીલ પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવું કાયદેસર ગુનો ગણાય છે. ડ્રોનના અવાજ અને તેની હરકતો પક્ષીઓની શાંતિ ભંગ કરી શકે છે અને તેમના કુદરતી વ્યવહાર પર નકારાત્મક અસર પાડી શકે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન શૂટિંગ પર પ્રતિબંધ હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. રેન્જ અધિકારીએ જણાવ્યું હતું કે મામલે તપાસ કરાશે અને જો નિયમોનો ભંગ થયો હશે તો જવાબદાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. અનુકૂળ વાતાવરણ હોતા રણમાં રોકાઈ ગયા સુરખાબમાર્ચ મહિનો શરૂ થતા જ સામાન્ય રીતે વિદેશી પક્ષીઓ પોતાના વતન તરફ પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છના વિશ્વપ્રસિદ્ધ રોડ ટુ હેવન વિસ્તારમાં જુદી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોડા વરસાદને કારણે રણના નીચાણવાળા વિસ્તારોમાં હજી પાણી ભરપૂર છે અને પક્ષીઓ માટે પૂરતું ખોરાક ઉપલબ્ધ છે. માર્ચના તાપ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા અનુકૂળ વાતાવરણ જળવાયું છે. જાણકારોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિને કારણે ઘણા પક્ષીઓએ સ્થળાંતર મુલતવી રાખ્યું છે, જેના કારણે પ્રવાસીઓ માટે આકર્ષક દ્રશ્યો ઉભા થયા છે. ધોળાવીરા વુડ ફોસિલ પાર્કની દયનીય સ્થિતિ ધોળાવીરામાં આવેલા વુડ ફોસિલ પાર્કની હાલત હાલ અત્યંત કફોડી છે. કરોડો વર્ષ જૂના અશ્મિઓના જતનને બદલે અહીં ગંદકી અને અરાજકતાનું સામ્રાજ્ય છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ હસ્તક આવતા આ મહત્વના પ્રવાસન સ્થળની દયનીય સ્થિતિથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અહીં સુરક્ષા માટે હાલમાં કોઈ જવાબદાર વ્યક્તિ કે સિક્યુરિટી ગાર્ડ હાજર નથી. ફેન્સિંગ ઠેર-ઠેરથી તૂટી ગયું છે, જેથી કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકે છે. પ્રવાસીઓને માર્ગદર્શન આપવા માટે લગાવેલા બોર્ડ નીચે પડી ગયા છે. પરિસરમાં દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિકના કચરા અને પાણીની બોટલોનો ખડકલો જોવા મળી રહ્યો છે. ભાસ્કર નોલેજ: જુરાસિક યુગના અશ્મિઓ અહીં આવેલા છેધોળાવીરા કરોડો વર્ષ જૂના કુદરતી ઇતિહાસ માટે પણ જાણીતું છે. અહીં આવેલ વુડ ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે અદભૂત સ્થળ છે. અહીં જોવા મળતા લાકડાના અશ્મિઓ આશરે 17 થી 18 કરોડ વર્ષ જૂના હોવાનું મનાય છે. આ અશ્મિઓ જુરાસિક કાળના છે, જ્યારે પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તિત્વ હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, કરોડો વર્ષો પહેલાં ભૌગોલિક ફેરફારોને કારણે વૃક્ષો જમીનમાં દટાઈ ગયા હતા. ઓક્સિજનના અભાવે લાકડું સડવાને બદલે તેમાં રહેલા કાર્બનિક તત્વોની જગ્યા ખનિજોએ લઈ લીધી, જેને કારણે લાકડું પથ્થર બની ગયું પણ તેનો આકાર અને રેખાઓ અકબંધ રહી. પાર્કમાં પથ્થર બની ગયેલા મોટા લાકડાના થડ રાખવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:46 am

સટ્ટા રેકેટનો પર્દાફાશ કરાયો:માધાપરમાં મુંબઈ અને દિલ્હીની IPL મેચ પર સટ્ટો રમતા ત્રણ બુકીને ઝડપી લેવાયા

હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને 2 લેપટોપ, 8 ફોન અને ટીવી-રાઉટર સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. માધાપરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલની મેચ પર હારજીતનો સટ્ટો રમતા આરોપી નીલેશ પ્રતાપ નંદા ભાનુશાલી, મુળ મુંબઈના અને હાલ માધાપર રહેતા આરોપી ધર્મેશ પ્રવીણ ચોથાણી ઠક્કર અને નીલેશ હરેશ ભોજવાણીને દબોચી લીધા છે. એલસીબીને બાતમી મળી હતી કે,માધવબાગ પ્લોટ નંબર એ-4 માં રહેતો આરોપી નીલેશ ભાનુશાલી પોતાના મળતિયાઓ સાથે હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચ પર સટ્ટો રમી-રમાડી રહ્યો છે અને પોતાના રહેણાંક મકાનનો જુગારખાના તરીકે ઉપયોગ કરે છે. બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા ત્રણેય આરોપી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા ક્રિકેટ મેચમાં હારજીત અને ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેના સટ્ટાના કુલ રૂપિયા 55.25 લાખના સોદા થયેલા હતા. બે લેપટોપ, ટીવી, આઠ મોબાઈલ અને રાઉટર સહીતનો કુલ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસમાં જુગારધારાનો ગુનો દાખલ કરાવાયો હતો. જાપાન અને પેરિસ જેરી લાઈન પર સોદાપોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે ક્રિકેટ સટ્ટા માટે હાલમાં બે લાઈન ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેમાં જાપાન લાઈનના સોદા માટે એક અલગ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે પેરિસ જેરી લાઈનના સોદા માટે પણ અલગ મોબાઈલ રાખેલો હતો. અને સોદો થયા બાદ આરોપીઓ લેપટોપ પર તેનો હિસાબ રાખતા હતા. 3 મોબાઈલથી ગ્રાહકોના સોદા લેવાતાબુકીઓ હારજીત સહિત ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેનો સટ્ટો ગ્રાહકો પાસેથી લેતા હતા. આરોપીઓએ 3 મોબાઈલ ગ્રાહકોના સોદા લેવા રાખેલા હતા. લેપટોપમાં iAssistant એપમાં હિસાબની એન્ટ્રીઓ હતી જેમાં મુંબઈની બેટિંગ દરમિયાન 11 ઓવર સુધી દિલ્હી કેપિટલના સોદામાં -2812.33 તેમજ મુંબઈ ઇન્ડિયન્સના સોદામાં 4519.33 થયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:43 am

વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી:જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 હજારથી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે

કચ્છ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં 1 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ 1896 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા 10,000થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મુખ્ય સ્ટાફ તરીકે 8355 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે 1900 જેટલા વર્ગ-4ના કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં સહભાગી બનશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને 1178 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેની સાથે GRD અને SRD અને હોમગાર્નાડના જવાનો પણ સામેલ હશે. તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના પાલન, બેલેટ પેપર મેનેજમેન્ટ, EVM તાલીમ અને મતદાન જાગૃતિ જેવા મહત્વના કાર્યો માટે અલગ-અલગ નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંચાલન માટે જિલ્લા પંચાયતમાં 10 આર.ઓ (રિટર્નિંગ ઓફિસર) અને 17 એ.આર.ઓ, (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર) તાલુકા પંચાયતોમાં 22 આર.ઓ અને 22 એ.આર.ઓ, નગરપાલિકાઓ માટે 7 આર.ઓ અને 7 એ.આર.ઓ તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૩ આર.ઓ અને ૩એ.આર.ઓની જવાબદારી સોંપવામાં આવી છે. 1166 ઈમારતોમાં 1896 મથકો ઉભા કરવામાં આવ્યાજિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્રે આંકડાકીય વિગતો જાહેર કરી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1166 પોલીંગ સ્ટેશન લોકેશન (ઇમારતો) નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1896 મતદાન મથકો પર લોકશાહીનો પર્વ ઉજવાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 234 મથકો માટે 105 લોકેશન ફાળવાયા છે. જ્યારે નગરપાલિકાઓમાં ભુજ (128 મથક) અને અંજાર (66 મથક) મોખરે છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ભુજ તાલુકામાં 293 અને રાપર તાલુકામાં 199 મથકો પર મતદાન થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં અંદાજે 2 લાખ ભૂલકાઓ વાર્ષિક કસોટી આપશે

બોર્ડ પરીક્ષા પુર્ણ થઈ અને યુનિવર્સિટી - કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે આ સાથે આજથી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 6 થી 11 એપ્રિલ દરમ્યાન ધો.3 થી 5 અને તા 13 થી 22 એપ્રિલ દરમિયાન ધો.6 થી 8માં કસોટી લેવાશે. કચ્છ જિલ્લામાં 1667 સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી મળી અંદાજે 2500 શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8 ના 2 લાખ ભૂલકાઓ આજથી શરૂ થતી વાર્ષિક કસોટી આપશે. આજથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો આરંભ થશે. જેમાં પ્રથમ તબક્કામાં આજે 6 એપ્રિલ સોમવારે ધો.3થી 5માં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પેપર લેવાશે. ધોરણ 3 થી 5માં 6 એપ્રિલે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 7 એપ્રિલે ગણિત અને 8 એપ્રિલે પર્યાવરણ, 9 એપ્રિલે હિન્દી, 10 એપ્રિલ અને 11 એપ્રિલે અનુક્રમે અંગ્રેજી, મરાઠી, તેલુગુ સહિતની ભાષાઓના પ્રશ્નપત્ર લેવાશે.કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ધોરણ -3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે તે શાળા કક્ષાએ જ કરવાની રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરીને આપવામાં આવશે.જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષાનું આયોજન કરશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. બીજા તબક્કામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 13 એપ્રિલથી પરીક્ષાનો આરંભ થશે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 15 એપ્રિલે ગણિત, 16 એપ્રિલે હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા, 17 એપ્રિલે વિજ્ઞાન, 18 એપ્રિલે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, 20 એપ્રિલે સામાજિક વિજ્ઞાન, 21 એપ્રિલે સંસ્કૃત તેમજ 22મી એપ્રિલને બુધવારે તેલુગુ, મરાઠી, તમિલ, ઉર્દુ, જેવી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રો લેવાશે. ધોરણ 6 થી 8 માં પરીક્ષાનો સમય સવારે 8 થી 11 અને પ્રશ્નપત્રમાં કુલ 80 ગુણ હશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-5 અને 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 3 માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુનઃ પરીક્ષા લેવામાં આવશે. જો પુનઃ પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે તેમ શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે. અગાઉ બંને પરીક્ષા ભેગી લેવાતી, આ વખતે અલગ અલગ આયોજનથી સરળતા થઈસામાન્ય રીતે ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા દર વખતે એકસાથે લેવામાં આવે છે.પરંતુ આ વખતે આ કસોટી બે તબક્કામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5 અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ દ્વિતીય તબક્કામાં ધોરણ 6 થી 8 ની પરીક્ષા લેવામાં આવશે.જેથી વહીવટી દ્રષ્ટિએ પણ વધુ સરળતા થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:38 am

દૂધ ઉત્પાદનમાં કચ્છનો ડંકો:દૂધના 7,62,045 મેટ્રિક ટન ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો રાજ્યમાં 7મા ક્રમે

તાજેતરમાં ભારતીય સંસદ (રાજ્યસભા) માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં ગુજરાત અને ખાસ કરીને કચ્છ જિલ્લાએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ જોઇ શકાય છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રજૂ થયેલા વર્ષ 2024-25 ના ડેટા અનુસાર 762,045 મેટ્રિક ટન (આશરે 7.62 લાખ મેટ્રિક ટન) ના જંગી દૂધ ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં 7મા ક્રમાંકે પ્રસ્થાપિત થયો છે સંસદમાં અપાયેલી માહિતી મુજબ, વર્ષ 2024-25 માં દેશનું કુલ દૂધ ઉત્પાદન 248 મિલિયન મેટ્રિક ટન (આશરે 247,869,976 મેટ્રિક ટન) નોંધાયું છે.જેમાંથી ગુજરાતનું યોગદાન આશરે 19,293,643 મેટ્રિક ટન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત દેશના ડેરી ઉદ્યોગમાં એક મજબૂત આધારસ્તંભ છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી, બનાસકાંઠા જિલ્લો 3,546,711 મેટ્રિક ટનના ઉત્પાદન સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભૌગોલિક રીતે દેશનો સૌથી મોટો અને રણપ્રદેશ ધરાવતો જિલ્લો હોવા છતાં, કચ્છના પશુપાલકોની મહેનત રંગ લાવી છે. કચ્છનું 762,045 મેટ્રિક ટનનું ઉત્પાદન એ દર્શાવે છે કે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં આશરે 3.95% હિસ્સો માત્ર કચ્છ પૂરો પાડે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ દેશના કુલ ઉત્પાદનમાં કચ્છ 0.31% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સરકારના અહેવાલ મુજબ, 2014-15 થી 2024-25 ના 11 વર્ષના ગાળામાં ભારતમાં દૂધ ઉત્પાદનમાં 69.41% નો ઐતિહાસિક વધારો નોંધાયો છે. જેમાં પશુઓની વાર્ષિક દૂધ ઉત્પાદકતા 1648 કિલોગ્રામથી વધીને 2251 કિલોગ્રામ થઈ છે, જે 36.63% નો રેકોર્ડબ્રેક વધારો દર્શાવે છે. રાજ્યમાં કચ્છથી આગળ રહેલા ટોચના 6 જિલ્લાઓ (આંકડા મેટ્રિક ટનમાં)

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:35 am

મહિલાઓ રચ્યું લૂંટનું નાટક:લૂંટની ફરિયાદ કરનાર મહિલા જ લૂંટારૂ નિકળી મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી

શહેરમાં ચા ખાંડની પેઢી ધરાવતા પેઢી માલીકે તેમની ફેક્ટરીમાં કામ કરતી મહિલાને તેમના પતિનો પગાર તેમજ કારીગરોના પગારના રૂપિયા આપેલ હતા. જે બાદ આ મહિલા રૂપિયાનો થેલો લઇને ઘરે જતી હતી જે દરમિયાન તેમના સ્કુટરમાં રૂપિયાનો થેલો ટીંગાડેલો હતો. જે થેલો ટ્રાફિકનો લાભ લઇ બે શખ્સો લૂંટી ગયા હોવાનું ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસની તપાસમાં કંઇક ચિત્ર જુદુ જ તરી આવ્યું હતું અને ખુદ ફરિયાદ કરનાર મહિલા જ આરોપી નિકળી છે અને તેના મિત્રને રૂપિયા આપી દિધા હોવાનું અને ફેક્ટરી માલિકને રૂપિયા પરત ન કરવા પડે જેને લઇને નાટક રચ્યું હતું. શહેરમાં રહેતી શિલ્પાબેન વિજયભાઇ સોલંકી નામની મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિનો પગાર તેમજ કારીગરોનો પગાર મળી કુલ રૂા. 90,500 ભરેલો થેલો લઇને તેઓ સ્કુટરમાં ઘર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન કરચલિયા પરા આગરીયાવાડના નાકા પાસે ટ્રાફિક જામ હોવાને લીધે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. તે વેળાએ બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવેલ હતા અને મહિલાના સ્કુટર ઉપર ટીંગાડેલો રૂપિયાનો થેલો લૂંટી ફરાર થયા હતા. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.ડી.ઝાલાને તપાસ સોંપવામાં આવી હતી. જે દરમિયાન તપાસનીશ અધિકારીએ મહિલાની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે ચિત્ર કંઇક જુદુ જ તરી આવ્યું હતું અને મહિલાએ તેના મિત્ર શ્રીધર ઉર્ફે સિદ્ધુ સોલંકીને મહિલા કોલેજ નજીક રૂપિયા ભરેલ થેલો આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે શિલ્પા સોલંકી અને શ્રીધર ઉર્ફે સિદ્ધુની ધરપકડ કરી હતી. ખોટી માહિતી આપવાની કાર્યવાહી કરાશેશિલ્પાબેન રાઠોડે પોલીસ ફરિયાદ ખોટી કરી હતી જેમાં કોઇ ઘટના બની જ ન હોય તેવી માહિતી ફરિયાદમાં લખાવવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં પણ સરકારી કર્મચારીઓને ગુમરાહ કરી રહી હતી. હાલ બંન્ને આરોપી ગંગાજળીયા પોલીસને સોંપી આપેલ છે અને સરકારી કર્મચારીને ખોટી માહિતી આપવા બાબતેની મહિલા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. > પી.ડી.ઝાલા , પી.એસ.આઇ. એલ.સી.બી. તપાસમાં ફરિયાદી મહિલા ભાંગી પડતા નાટક ખુલ્યુંપોલીસની તપાસ દરમિયાન લૂંટ બાદ મહિલાએ બુમાબૂમ ન કરી હોવાનું જાણવા મળતા મહિલા ખોટું બોલતી હોવાનું જણાઇ આવ્યું હતું, જ્યારે મહિલાએ ઘટના ઘટ્યાના અડધી કલાક બાદ ફોન કર્યો હતો. સ્થળ ઉપર પોલીસે તપાસ કરતા હાજર લોકોએ લૂંટની ઘટના થઇ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ તેના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી તેના મિત્ર શ્રિધરને રૂપિયા આપેલ હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 am

જર્જરિત ઇમારત થઈ કડકભૂસ:શહેરના દરબારી કોઠાર પાસે મોડી રાત્રે જર્જરિત મિલકત ધડાકાભેર ધરાશાયી

શહેરના દરબારી કોઠાર એરિયામાં વર્ષો જૂનું અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં રાજમહોમ્મદ અહેમદ શેખની માલિકીનું બહુમાળી મકાન આવેલું છે ઈમારત વર્ષો જૂની હોવાનાં કારણે મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ઇમારતને તોડી પાડવા મકાન માલિક તથા BMC દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2024માં આ દુકાનો જે ધરાશાયી થઇ છે તેને ખાલી કરાવવા માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો અને હવે અમારી આ ચાર દુકાનો પાડી દીધી છે તેમ આજે આક્ષેપ કરતા જણાવ્યું હતુ. આ ચાર પૈકી ત્રણ દુકાન સ્કૂલ બેગ સહિતના રિપેરિંગની અને એક દુકાન મોટર રિવાઇન્ડિંગની હતી. આ મકાનમાં વર્ષોથી 5 ભાડુઆતો વસવાટ કરતા હોય આ મકાન તોડી પાડવાના નિર્ણયને ભાડુઆતોએ કોર્ટમાં પડકાર્યો હતો. દરમ્યાન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો મકાન ક્ષતિગ્રસ્ત થાય કે કોઈ જાનહાની સર્જાય તો ભોગ બનનારને વળતર તરીકે મકાન માલિક અને ભાડુઆતો દ્વારા 50 50 ટકા વળતર ચુકવવું. ગત મોડી રાત્રિના સમયે જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમ્યાન જ સમગ્ર મકાન ધડાકાભેર ધરાશાયી થયું હતું અને કાટમાળ રોડ ઉપર આવી જતા રસ્તો બ્લોક થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિ થવા પામી ન હતી. દરમિયાનમાં મ્યુ. એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતુ કે આવા કેસમાં મકાનમાલિકે જ જર્જરિત મકાન ઉતારી લેવાનું હોય છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:29 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં વધતી જળ વનસ્પતિને દૂર કરવી જરૂરી

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પ્રકૃતિનું અનોખું આકર્ષણ બની રહ્યું છે, પરંતુ હાલ વધતી જળવનસ્પતિ અને બેફામ રીતે ઊગી નીકળેલા ઘાસના કારણે તેની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તળાવના મધ્યમાં આવેલો નાનો ટાપુ અનેક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ પોતાના માળા બાંધે છે, પ્રજનન કરે છે અને કુદરતી રીતે જીવનચક્ર આગળ વધારે છે. આ દ્રશ્ય વર્ષોથી પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિ આ કુદરતી સંતુલન માટે ખતરો સાબિત થઈ રહી છે. આ ઘાસ પાણીની સપાટી પર ઘન પડદો ઉભો કરી દે છે, પરિણામે માછલીઓ, કીડા-મકોડા અને અન્ય જળચર જીવસૃષ્ટિ માટે જીવવું મુશ્કેલ બની જાય છે. જળસૃષ્ટિમાં આવતી આ અસર સીધી રીતે પક્ષીઓના જીવન પર પણ પડે છે, કારણ કે તેમનો આહાર અને નિવાસ બંને આ જ તળાવ પર નિર્ભર હોય છે. વિક્ટોરિયા જંગલ સંસ્કૃતિ સચવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે આ તમામ પ્રયત્નો છતાં, જો તળાવની યોગ્ય રીતે દેખરેખ અને સમયસર સફાઈ નહીં કરવામાં આવે, તો આ સંરક્ષણના પ્રયાસો અધૂરા રહી જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓનું માનવું છે કે ચોમાસા પહેલાં જ તાત્કાલિક પગલાં લઈ તળાવમાંથી વધારાની ઘાસ અને જળવનસ્પતિ દૂર કરવી જરૂરી બની ગઈ છે. જો આ કામગીરી સમયસર કરવામાં આવે, તો તળાવનું પાણી ફરી સ્વચ્છ બની શકે છે, જળચર જીવસૃષ્ટિને નવજીવન મળી શકે છે અને પક્ષીઓ માટે આ સ્થળ વધુ સુરક્ષિત બની શકે છે. સાથે સાથે, પાર્કની કુદરતી સુંદરતામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે શહેરના લોકો માટે આરામ અને આનંદનું કેન્દ્ર બની રહેશે. આ રીતે, વિક્ટોરિયા પાર્કના સંરક્ષણ સાથે જો કૃષ્ણકુંજ તળાવની પણ યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે, તો આ વિસ્તાર માત્ર હરિયાળો જ નહીં પરંતુ પર્યાવરણપ્રેમીઓ માટે પ્રેરણારૂપ સ્થળ તરીકે પણ ઊભરી શકે છે, જ્યાં કુદરત અને માનવ વચ્ચેનું સંતુલન સ્પષ્ટ રીતે અનુભવાય છે. વિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ સંરક્ષણ માટે કડક પગલાંવિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ જાળવવા માટે પહેલેથી જ અનેક કડક પગલાં લેવામાં આવે છે. પાર્ક વિસ્તારમાં પ્લાસ્ટિક જેવા પ્રદૂષિત પદાર્થો લઈ જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વિવિધ સ્તરે જંગલ અને પ્રાણીજીવનનું સંરક્ષણ કરાય છે, તે પગલા આવકારદાયક છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:27 am

વીજકાપ:કાલે દીવડી ફીડરમાં વીજકાપ

આગામી સપ્તાહમાં જ્યારે ભાવનગર શહેરમાં ગરમી જામી છે ત્યારે તા.7 એપ્રિલ, 10 એપ્રિલ અને 11 એપ્રિલ, ત્રણ દિવસ જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી નગરજનોને બપોર સુધી ગરમીમાં હેરાનગતિ ભોગવવી પડશે. તા.7 એપ્રિલને મંગળવારે 11 kv દિવડી ફીડર હેઠળના સરદાર નગર ગુરુકુળ પાછળનો ભાગ, દીવડી ચોક, ગુરુકુળ, લોકમિલાપ આજુબાજુનો વિસ્તાર, દીવડી ચોકથી થિયોસોફીકલ લોજ, કે એસ એમ, ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી, મોખડાજી સર્કલ, બામણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તાર, શશી પ્રભુ ચોક, અખંડાનંદ ફ્લેટ, બાબુભાઈની ચાલી, રેન્ટ વાલા સર્કલથી શશી પ્રભુ ચોક થઈને વૃષા રેસિડેન્સી તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તા.10 એપ્રિલને શુક્રવારે 11 કેવી તગડી ફીડર હેઠળના ભૂતેશ્વર, તગડી, થોરડી, પીથલપુર અને રામપરમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે. શુક્રવારે જ શહેરમાં રૂપાણી ફીડર હેઠળના વાળંદ સોસાયટી, તુલસી પાર્ક 1, ગોકુળધામ રોડ, મોમાઈ ચોક, નારેશ્વર સોસાયટી, વિરાણી સ્કૂલ, આલેખ કોમ્પલેક્ષ, આલેખ કોમ્પલેક્ષથી કે પી એસ ઇ સ્કૂલ, કે પી ઈ એસ સ્કૂલથી કેસરિયા હનુમાન રોડ, આલેખ કોમ્પલેક્ષથી લખુભા હોલ, લખુભા હોલથી બેબીલેન્ડ સ્કૂલ તરફ જમણી બાજુનો વિસ્તાર, લખુભા હોલથી દવે ઘી તરફ ડાબી બાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. તા.11 એપ્રિલને શનિવારે વાઘાવાડી ફીડર હેઠળના સાગવાડી, શિવ પાર્ક, કાળીયાબીડ સી, ન્યુ ભગવતી પાર્ક, જુનુ ભગવતી પાર્ક શેરી નંબર 1 થી 7, નવી પાણીની ટાંકી કાળીયાબીડ સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, સર્કિટ હાઉસ સુધી ઓશન પાર્ક, વૃંદાવન સોસાયટી, ગોકુલધામ સોસાયટી નંબર 1,2,3 , અવધ નગર, કબીર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકીનો વિસ્તાર, મેલડી માતાજીનું મંદિરનો વિસ્તાર અને ભયલુ ભાઈની વાડી વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:25 am

મંડે પોઝિટીવ:ગોહિલવાડ પોલો ક્લબે 5 વર્ષમાં તાલીમથી તૈયાર કર્યા 75 રાઈડર

ગોહિલવાડ પોલો ક્લબ છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર તેમજ સમગ્ર ગુજરાતમાં પોલો રમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. ક્લબ દ્વારા આયોજિત પોલો અવેરનેસ કેમ્પ્સના માધ્યમથી સુરત, અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કુલ 75 જેટલા રાઈડર્સને તાલીમ આપવામાં આવી છે. ક્લબના માર્ગદર્શક જયવીરસિંહ ગોહિલ ગુજરાતના એકમાત્ર પ્રોફેશનલ પોલો પ્લેયર છે. હાલમાં પણ ભાવનગરના રાઈડર્સ રોજબરોજ પોલોની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે આ રમત પ્રત્યે વધતી રસપ્રદતા અને સમર્પણ દર્શાવે છે. ગોહિલવાડ પોલો ક્લબનો મુખ્ય હેતુ યુવાનોમાં પોલો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રોફેશનલ સ્તરે પહોંચાડવાનો છે. જયવીરસિંહ ગોહિલ છેલ્લા 20 વર્ષથી ઘોડા સંબંધિત રમતો સાથે જોડાયેલા છે અને રાજ્યમાં પોલોની મજબૂત પાયાની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ છે. તેમનું સ્વપ્ન છે કે જેમ જયપુર, દિલ્હી, જોધપુર અને મુંબઈમાં પોતાની પોલો ટીમો છે, તેવી જ રીતે ગુજરાતની પણ પોતાની મજબૂત પોલો ટીમ ઉભી થાય. ગોહિલવાડ પોલો ક્લબના આ પ્રયાસોથી આવનારા સમયમાં ગુજરાત પોલો રમતના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:25 am

કૃષિ વિશેષ:ડુંગળીના વાવેતરમાં રાજ્યમાં 2 જિલ્લાનો હિસ્સો 89.25%

ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર શરૂ થઇ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 65,800 હેકટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં માવઠાનું નડતર છતાં વાવેતરની સ્થિતિ પ્રમાણમાં સારી છે. સાથે ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઇને ડુંગળીનું કુલ વાવેતર 9,300 હેકટરમાં થયું છે જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 8,300 હેકટરના 89.25 ટકા થાય છે એટલે કે બાકીના 10.75 ટકામાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનુ઼ વાવેતર આવી જાય છે. ઉનાળુ વાવેતરની આગેકૂચ થઇ રહી છે. જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનુ઼ વાવેતર થઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર આગળના ક્રમે છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 11,100 હેકટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 32,000 હેકટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 11,100 હેકટર એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 34.69 ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ ભાવનગર આગેકૂચ કરી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં 8,700 હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ નંબરે છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર 18,600 હેકટરમાં થયું હોય એકલા ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રભરની 46.77 ટકા વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા 30,600 હેકટર મગફળીના વાવેતર સાથે નંબર વન જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી 65,800 હેકટર થઇ ગઇ છે. જેમાં બાજરી, મગફળી, ડુંગળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે. જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર શા માટે જિલ્લામાં વાવેતર વધ્યું ?ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી ઉનાળા દરમિયાન તળાજા અને મહુવા વિસ્તારના કમાન્ડ વિસ્તારને સિંચાઈ માટે પુરતું પાણી આપી શકાશે. આ ઉપરાંત જ્યાં કેનાલો કે નહેરોની સુવિધા નથી એવા સિહોર, પાલિતાણા, વલ્લભીપુર, અને રંઘોળા સહિતના વિસ્તારોમાં બોર અને કૂવામાંથી સિંચાઈ માટે પાણી મળી રહે તેમ છે. એટલે આ વખતે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:23 am

મતદારોનું સમીકરણ:જિલ્લામાં 8.87 લાખ મતદાર, વડોદરા તાલુકો 1.95 મતદારો સાથે સૌથી મોટો

વડોદરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના માળખામાં મતદારોની ભાગીદારી અત્યંત નિર્ણાયક બનશે. એસઆઈઆરની કામગીરી બાદના આંકડા અનુસાર, જિલ્લાના આઠ મુખ્ય તાલુકાઓ કરજણ, ડભોઇ, ડેસર, પાદરા, વડોદરા, વાઘોડિયા, શિનોર અને સાવલી મળીને કુલ 8,87,983 મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4,52,864 અને મહિલા મતદારોની સંખ્યા 4,35,110 નોંધવામાં આવી છે. વડોદરા તાલુકો 1,95,637 મતદારો સાથે સૌથી મોટો મતવિસ્તાર છે, જ્યારે શિનોર તાલુકો 49,525 મતદારો સાથે સૌથી નાનો વિસ્તાર છે. ગ્રામીણ સ્તરે જોતા, વડોદરા તાલુકાનું સયાજીપુરા ગામ 8,094 મતદારો સાથે જિલ્લાનું સૌથી મોટું મથક બનીને ઉભરી આવ્યું છે. જ્યારે બીજી તરફ, શિનોરનું આનંદી ગામ સૌથી ઓછી એટલે કે માત્ર 2,423 મતદારોની સંખ્યા ધરાવે છે. આ આંકડાકીય માહિતી આગામી ચૂંટણીઓમાં વિવિધ પક્ષો માટે વ્યૂહાત્મક આયોજન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનિય છે કે, ભાજપ સિવાય વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરવામાં આવી છે ત્યારે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. 8 તાલુકામાં કુલ 8.87 લાખ મતદારો વડોદરાના સયાજીપુરામાં સૌથી વધુ મતદારો શિનોરના આનંદીમાં સૌથી ઓછા મતદારો

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:58 am

ધનિયાવી રોડની ઘટના:પેટ્રોલપંપના સંચાલકોનો પૂર્વ કર્મચારી સહિત 3 પર હુમલો

શહેરના ધનિયાવી રોડ પર આવેલા પેટ્રોલ પંપના માલિકોએ પૂર્વ કર્મચારી પર 22 હજારની ઉચાપતનો આરોપ લગાવી રસ્તા વચ્ચે આંતરીને તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. વૈભવી કારમાં આવેલા 8થી 10 હુમલાખોરોએ કર્મચારી ઉપર કરેલા આ હૂમલામાં ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તરસાલી ચોકડી અને ધનિયાવી રોડ પાસે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ પૂર્વ કર્મચારી અને તેના સાળાને રસ્તામાં આંતર્યા હતા. ત્યારબાદ ધારીયા અને લાકડાના ડંડા વડે બેરહેમ માર માર્યો હતો. આ હુમલામાં એક યુવાનના બંને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. રાકેશભાઈ અશોકભાઈ રાવળ અગાઉ પુરંદર ફાર્મ પાસેના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર ફીલર તરીકે ફરજ બજાવતા હતા. ગત શનિવારે તેઓ પુત્ર સાથે શાકભાજી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પંપ માલિક યુવરાજસિંહ ઉર્ફે અપ્પુ મહીડાએ પોતાની ફોર્ચ્યુનર કારથી તેમને આંતર્યા હતા. મહીડાએ ધમકી આપતા કહ્યું હતું કે, ‘તેં પંપના ₹22,000 લઈ લીધા છે, તે પરત આપી દે નહીંતર મારી નાખીશ.’ રાકેશભાઈએ ઘરે પહોંચીને પોતાના સાળાને આ અંગે જાણ કરી હતી. તેઓ ધનિયાવી રોડ પર પાનના ગલ્લા પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓ લાલ રંગની BMW કાર લઈને ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા ટોળાએ હુમલો કરતા મેલાભાઈ સુખાભાઈ રાવલીયાને ગંભીર ઈજાઓ થતા SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલામાં રાકેશભાઈ અને તેમના સાળા ભરતભાઈ રાવળને પણ ઈજાઓ પહોંચી છે. કપુરાઈ પોલીસે રાયોટિંગ અને હથિયારબંધી ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવરાજસિંહ અપ્પુ મહીડા, રાજવીરસિંહ મહીડા, જયરાજસિંહ મહીડા, હંસરાજસિંહ મહીડા અને અન્ય 4-5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:55 am

ઠગાઈ:જમીનના દસ્તાવેજના બહાને રેલવે કર્મચારી સાથે 1.16 લાખની ઠગાઈ

પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસમાં ચીફ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા બ્રિજભુષણ સચ્ચિદાનંદ ચૌબેએ જમીન વેચાણ કરવા જતા ગઠિયાએ દસ્તાવેજો બનાવી આપવાના બહાને રૂા.1.16 ખંખેરી લેતા મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બ્રિજભુષણ ચૌબે(ઉ.વ.54)ની ફરિયાદ અનુસાર, તેઓ વાઘોડિયાના રાવલ ગામે આવેલ તેમનો પ્લોટ વેચવા માંગતા હતા, જે માટે તેમણે ઓનલાઈન પોર્ટલ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈને અમદાવાદના વિશાલ ખટવાણી નામના વ્યક્તિએ પ્લોટ રૂા.1.50 કરોડમાં ખરીદવામાં રસ દાખવ્યો હતો. આરોપીએ જમીનના વેચાણ માટેના જરૂરી તમામ લીગલ દસ્તાવેજો પોતે બનાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયાના ખર્ચ પેટે આરોપીએ ફરિયાદી અને તેમની દીકરીના બેંક ખાતામાંથી જુદા-જુદા સમયે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 1,16,500 મેળવ્યા હતા. આ રકમ એમ.ડી.એન્ટરપ્રાઈઝ, હર્ષ ક્રીએશન અને હરી ટ્રેડિંગ કંપની જેવા નામો ધરાવતા ક્યુ.આર. કોડ પર મોકલવામાં આવી હતી. નાણાં મેળવ્યા બાદ આરોપીએ દસ્તાવેજો બનાવી આપ્યા નહોતા અને ફરિયાદીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આરોપીના અમદાવાદના સરનામે તપાસ કરતા ત્યાં કોઈ ઓફિસ મળી આવી નહોતી. અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બ્રિજભુષણ ચૌબેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધાવી છે. મિલકતના વ્યવહારમાં રાખવાની સાવચેતી

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:53 am

છાણીમાં સમસ્યાની સરવાણી:તળાવ-નાળામાં ગંદકી, સ્મશાન પરત આપવાનું વચન ભૂલાયું

છાણી ગામ વર્ષોથી પાલિકાની હદમાં છે, પણ હજીય શહેરીકરણના લાભ ગામને મળ્યા નથી. તળાવના બ્યૂટિફિકેશનનું નામ લઇ રૂા.18 કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કર્યો, જે પાણીમાં ગયો છે. આજે પણ ડ્રેનેજનાં ગંદાં પાણી રેલાતાં પાલિકા અટકાવી શકી નથી. જ્યારે નવીનીકરણના આટલાં વર્ષે પણ તળાવમાં પાણી ટકતું નથી. તળાવ કિનારે વોકવે, ગઝેબો અને કેટલાંક વૃક્ષોનો છાંયો લઇ શકાય છે, એ સિવાય તળાવની વિકાસ યાત્રા અટકી છે. છાણી તળાવ પાસે ન્યાસા કોમ્પ્લેક્સ પાસે એક બ્રિજ છે. તેની ફરતે જાળી છે પણ દેશી દારૂની હજારો પોટલીથી પુલ નીચેનો ભાગ ઢંકાઇ ગયો છે. રહીશો કહે છે કે, દારૂનાં ઠેકાણાં પોલીસ જાણે જ છે, ‘અગમ્ય’ કારણોસર દારૂના અડ્ડા બંધ કરવા પોલીસ ક્યારેય ફરકતી નથી. છાણી તળાવના બ્યૂટિફિકેશન માટે રૂા.18 કરોડ ખર્યાયા, તળાવ ફરતે વોક-વે સહિતનાં કામો થયાં પણ તળાવ આજે પણ પાણી વિના સૂકુંભઠ છે. દિવ્ય ભાસ્કર સાથેની બેઠકમાં રહીશોએ કહ્યું કે, છાણીના નેતાઓ ગામમાં આંટાફેરા માર્યા કરે છે, પણ 6 મહિનાથી અધૂરા રસ્તા-ગંદકી દેખાતાં નથી. સ્મશાનનો વહીવટ જતો રહ્યો, નેતાઓથી કંઇ બોલાતું નથી. લોકોની વર્ષો જૂની દુકાનો દબાણના નામે તોડી ફૂટપાથ બનાવ્યા, હવે તેના પર બસો સહિતનાં ભારે વાહનો પાર્ક થાય છે. રહીશોની વાતથી એક સ્પષ્ટ સૂર ઊઠે છે કે, છાણી એટલે ભ્રષ્ટાચારના રસ્તા, તળાવ અને નાળા, બાકી વાતો એ તો વિકાસના નામે મત લેવાના ચાળા છે. ભૂખી કાંસનું નાળું પણ પૂરાઈ ગયું, બ્રિજ નીચેનાં ખેતરો પર ચોમાસામાં ખતરોછાણીમાં સ્મશાનની પાછળ ભૂખી કાંસનું નાળું કચરાથી પૂરાઇ રહ્યું છે. નાળું સાંકડું હોવાથી ચોમાસામાં પાણી ચારે તરફ રેલાય છે. બ્રિજ નીચેના ભાગમાં કાટમાળ એટલો ફેંકાયો છે કે, વડોદરા તરફ આવતું નાળું બંધ થઇ ગયું છે. સિસવા તરફથી આવતું પાણી અટકશે તો ચોમાસામાં ખેતરોના પાકને ખતરો થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. નાળા પર RCCનું કામ ટલ્લે, મારુતિ હાઇટ્સ પાસે કચરાપેટી જેવી સ્થિતિથી દુર્ગંધનું સામ્રાજ્ય

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:52 am

ફાયરબ્રિગેડે કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો:અલકાપુરીમાં કારનો દરવાજો લોક થતાં 3 વર્ષનો બાળક 1 કલાક સુધી ફસાયો

અલકાપુરીમાં શનિવારે 3 વર્ષનું બાળક કારમાં ફસાયું હતું. પિતા કારમાંથી નીકળ્યા બાદ પાછલી સીટ પર બેસેલા પુત્રને કાઢવા દરવાજો ખોલવા ગયા, પણ તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાવી કારમાં રહી જતાં દરવાજો લોક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડે કાચ તોડી 1 કલાકે બાળકને કાઢ્યો હતો. અમદાવાદના રહીશ પુત્ર સાથે કામસર વડોદરા આવ્યા હતા. તેઓ શનિવારે બપોરે 12 વાગ્યે અલકાપુરી પેટ્રોલપંપ સામેના મોલમાં ગયા ત્યારે ઘટના બની હતી. તેમણે દરવાજો ખોલવા પ્રયાસ કર્યા પણ ન ખૂલતાં ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. લાશ્કરોએ કાચ તોડીને પુત્રને હેમખેમ બહાર કાઢ્યો હતો. શક્ય હોય તો ડુપ્લિકેટ ચાવી હાથવગી રાખવીકારનો દરવાજો અંદરથી લોક થઇ જાય અને બાળક હોય તો સામાન્ય સંજોગોમાં ઝડપથી કાચ તોડવો જોઇએ. કારણ કે એસી બંધ હોય ત્યારે બાળકની સલામતી સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. આ અંગે ઓટો એક્સપર્ટ મનોજ ઠાકરે કહ્યું કે, તમે બે કારમાં પ્રવાસે નીકળ્યા હોવ તો એક કારની ડુપ્લિકેટ ચાવી બીજી કારમાં, એ રીતે ક્રોસ રાખવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:48 am

મંડે મેગા સ્ટોરી:19 કિમીમાં પાંચેય CCTV બંધ,પોલીસને 11 હિટ એન્ડ રનના આરોપી જાણવાનાં હવાતિયાં

કપુરાઈ પોલીસ મથકની હદમાં આવતા સુંદરપુરા પાટિયાથી દરજીપુરા ચોકડી સુધીના 19 કિલોમીટર લાંબા હાઈવે પર વારંવાર અકસ્માત થાય છે, જેમાં ઘણા કિસ્સાઓમાં વાહન ચાલકો ફરાર થઈ જાય છે. આ સાથે રાત્રીના સમયે પણ અનેક અકસ્માત થતા હોય છે. જેમાં ચોંકાવનારી વિગત એ છે કે, આટલા લાંબા અને સંવેદનશીલ હાઈવે પર સુરક્ષા માટે 5 બ્રિજ પર માત્ર 5 સીસીટીવી કેમેરા લગાવ્યા છે, કમનસીબે આ આ પાંચેય કેમેરા હાલ બંધ હાલતમાં છે. ટેક્નોલોજીના યુગમાં સિસ્ટમની આ ગંભીર બેદરકારીથી છેલ્લા 8 મહિના દરમિયાન થયેલા 11 જેટલા જીવલેણ અકસ્માતના ગુના ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળી છે. શહેરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નં.48નો 19 કિમીનો પટ્ટો કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવે છે. હાઈવે હોવાને કારણે વિસ્તારમાં સૌથી વધુ જીવલેણ અકસ્માતો નોંધાય છે. હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બને છે ત્યારે અકસ્માત સર્જનાર વાહનચાલકને પકડવા માટે સીસીટીવી ફૂટેજ મહત્ત્વનું પાસું હોય છે. 8 મહિનાથી કેમેરા બંધ હોવાથી પોલીસ વાહનનો નંબર કે આરોપી વિશે જાણકારી મેળવી શકતી નથી. કપુરાઈ પોલીસ દ્વારા આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અનેકવાર લેખિત જાણ કરી હોવા છતાં સ્થિતિ જૈસે થે છે. સીસીટીવી બંધ હોવાથી લૂંટની ઘટનામાં પણ આરોપીઓને ઓળખવા મુશ્કેલ બને છેકપુરાઇ પોલીસ મથકની હદમાં હાઈવે પર આજવા બ્રિજ, કપુરાઈ બ્રિજ, તરસાલી બ્રિજ, વાઘોડિયા બ્રિજ અને જામ્બુવા બ્રિજ આવે છે. આ દરેક બ્રિજ પર એક-એક મુવિંગ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, કેટલીક વખત બ્રિજ પર લૂંટની ઘટના પણ બને છે. જોકે સીસીટીવી બંધ હોવાને કારણે લૂંટના ગુના ઉકેલવામાં પણ તકલીફ પડે છે. સીસીટીવી કેમેરા પુનઃ કાર્યરત કરવાની પ્રક્રિયા કરાઈ રહી છે : એનએચએઆઇનેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં હાઈવેનો કરાર ન્યૂ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિડેટ સાથે કરવામાં આવ્યો છે. જોકે આ કરાર માત્ર હાઈવે મેન્ટેન્સનો જ કરવામાં આવ્યો છે. જેમાં સીસીટીવીના સમારકામ વિશે કરાર કરવામાં આવ્યો નથી. સીસીટીવી કેમેરા શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. હોટલ-દુકાનના CCTV હાઇવે તરફ રાખવા સૂચનહાલમાં હાઈવે બ્રિજના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જેથી હાઈવે પર આવેલી હોટલો-દુકાનોના સીસીટીવી કેમેરાનું મેપિંગ કરાયું છે. ઉપરાંત તેમને સૂચન કરાયું છે કે, બહારના કેમેરા હાઈવે તરફ રાખવા. તબક્કાવાર આ સીસીટીવીની ચકાસણી કરાય છે. > ડી.સી. રાઉલ, પીઆઈ, કપુરાઈ પોલીસ મથક

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:46 am

ભાસ્કર એક્સક્લુસિવ:શહેરમાં 1 મહિનામાં નવાં 3653 પીએનજી જોડાણ અપાયાં, હજુ 4500 અરજી પેન્ડિંગ

1 મહિનાથી ચાલતા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા ઊભી થઇ હતી. જેથી લોકો પાઇપ નેચરલ ગેસ તરફ વળતાં ગેસ જોડાણમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. દર મહિને અપાતા 1 હજારથી 1500 જેટલાં પાઇપ ગેસ કનેક્શન હાલ બમણાં થયાં છે. 1 મહિનામાં નવાં 3653 પાઇપ ગેસ કનેક્શન અપાયાં છે, જ્યારે 4500 જેટલી અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા સર્જાઈ હતી. માર્ચની શરૂઆતમાં ગેસ બોટલ માટે એજન્સીઓ પર લાઇનો લાગી હતી. બીજી તરફ સરકારે લોકો પીએનજી તરફ વળે તેવા પ્રયાસ કર્યા હતા. લોકો પણ બોટલની પળોજણમાંથી છૂટવા વીજીએલમાં પાઇપ લાઇન માટે અરજી કરી હતી. વીજીએલ દ્વારા એક મહિનામાં 3653 જોડાણ અપાયાં છે. જ્યારે કોમર્શિયલ લાઇન મેળવનારની સંખ્યા 1 મહિનામાં 48 થઈ છે. શહેરમાં આ પહેલાં 3030 કોમર્શિયલ ગેસ જોડાણ હતાં. અત્યારે 38 કિમીનું નવું નેટવર્ક નખાયું છે. પહેલાં 4473 કિમી જેટલું નેટવર્ક હતું. વોર્ડ કચેરીથી ગેસ જોડાણની કામગીરી ચાલુપહેલાં ગેસ કંપનીની ઓફિસ પરથી જ કનેક્શન માટેની કામગીરી કરાતી હતી. જોકે હવે દરેક વોર્ડ ઓફિસ પરથી આ કામગીરી કરાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વીજીએલે તેમનો સ્ટાફ પણ વધાર્યો છે, જેને પગલે કામગીરી ઝડપી થઇ શકે. બિલિંગ કાઉન્ટરોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:42 am

સિટી એન્કર:માતા-પિતાએ સિવણનું મશીન ન અપાવતાં દીકરીએ ઘર છોડ્યું અભયમે સરકારી યોજનાની સમજ આપીને ફોર્મ ભરાવી આપ્યું

ગોત્રીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેનાં માતા-પિતાએ સિલાઈ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા વિશે એક વ્યક્તિએ અભયમને જાણ કરતાં ટીમે પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સગીરા નાની હોવાથી તેનાં માતા-પિતા તેને સિલાઈ મશીન લઈ આપતાં નહોતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પહોંચાડી હતી. ઉપરાંત તેને સરકારી સહાય યોજનામાં સિલાઈ મશીન કેવી રીતે મેળવી શકાય તે બાબતે પણ જાણકારી આપી હતી. ગોત્રીની સગીરાએ ભણવાનું છોડીને સીવણ ક્લાસ શરૂ કર્યા હતા. પોતે પગભર થવા તે સિલાઈ મશીન લેવા માગતી હતી. જોકે તેનાં માતા-પિતાએ દીકરીને મશીન લઈ આપવાની ના પાડી દીધી હતી. ઉપરાંત તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન પણ નક્કી કરી દીધાં હતાં. તેની માતાએ તેને કહ્યું કે, સાસરીમાં જઈને મશીન લેજે. સગીરાએ ઘણી જીદ કરી પણ માતા-પિતાએ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન સ્ટેશન પાસેના રોડ પર સવારથી સગીરા બેસી રહેતાં નજીકના દુકાનદારે અભયમને જાણ કરી હતી. જેથી અભયમની ટીમ સગીરા પાસે પહોંચતાં તેણે પોતાની તકલીફ જણાવી હતી. તે પછી માતા-પિતાનો ફોન દ્વારા સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, દીકરી નાની હોવાથી મશીન નથી લઈ આપતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે સગીરાએ જીદ પકડી કે, જ્યાં સુધી મશીન નહીં લઈ આપે ત્યાં સુધી ઘરે નહીં જાય. આખરે અભયમે સગીરાને સરકારી સહાય યોજના વિશે માહિતી આપી હતી, જેના દ્વારા તે મશીન લઈ શકે છે. સગીરાને યોજના વિશે સમજણ આપીને ફોર્મ પણ ભરાવી આપ્યું હતું. જેથી સગીરાને વિશ્વાસ આપ્યો કે, તેનું મશીન આવી જશે. જે બાદ તે ટીમ સાથે ઘરે પહોંચી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને સગીરાને માતા-પિતાને સોંપીસગીરા નાનપણથી જ પોતાનાં મામા-મામી સાથે રહેતી હતી. જોકે તે થોડા સમયથી માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. ઘટના વિશે મામા-મામીને પણ જાણ કરાઈ હતી. જેથી મામા-મામી સગીરાની જવાબદારી લેવા તૈયાર હતાં. જોકે સગીરા માતા-પિતાના ઘરે જવા માગતી હોવાને કારણે અભયમે સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:39 am

ચૂંટણીમાં AIનો દુરપયોગ:પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતને હથકડી પહેરાવેલો ફોટો વાઇરલ, ગુનો દાખલ

પાલિકાની ચૂંટણી પહેલા જ ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાર્યો છે. ગોડાદરામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખે સોસીયલ મીડિયામાં બે મિનીટનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેના કારણે અમિત રાજપૂતની બદનામી થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આપના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોષી સામે ગુનો દાખલ કર્યો છે. વીડિયો AIથી બનાવવામાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નેતાજી પ્રેમ વિવાદ મેં ફસે, પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી, વકીલ પર હુમલો જેવી ઓડિયો ક્લિપ બનાવી આપ નેતાનું બીપી લો થતા હોસ્પિટલમાં દાખલઆમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોષીને ગોડાદરા પોલીસે શનિવારે નોટીસ મોકલી રવિવારે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. રવિવારે શ્રવણ જોષી પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસે પૂર્વ કોર્પોરેટરનો વીડિયો બાબતે પૂછપરછ શરૂ કરી ત્યારે કેટલાક સવાલોના જવાબ આપવામાં શ્રવણ જોષીનો પસીનો છુટ્ટી ગયો હતો. પછી અચાનક શ્રવણ જોષીનું બીપી લો થતા તબિયત લથડી હતી. આથી પોલીસે તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ છે. હાલમાં શ્રવણ જોષી હોસ્પિટલમાં પોલીસની નિગરાનીમાં છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:34 am

બાંધકામ નિષ્ણાંતોએ હૈયાવરાળ ઠાલવી:‘બાંધકામ ક્ષેત્રે માત્ર સુરત શહેરમાં ડીસીઆર નથી એવી એફિડેવિટ માગવાનો રિવાજ, ઇમ્પેક્ટ ફી કાયદો હટાવો’

શહેરના બાંધકામ ક્ષેત્રમાં જેમની પાયાની ભૂમિકા છે એવા સિવિલ ઇજનેર, આર્કિટેક્ટ અને કોંક્રિટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના ક્ષેત્રમાં ભારે બળાપાની સ્થિતિ છે. હાલમાં ફાઈલોનો નિકાલ થઈ રહ્યો છે પરંતુ પ્રશ્નો વણ ઉકેલ્યા છે. કાયદામાં જેનો ઉલ્લેખ નથી એવી બાબતોની એફિડેવિટ અને રાજ્યમાં સુરત સિવાય ક્યાંય મંગાતા નહીં હોય એવા કાગળો રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે દિવ્ય ભાસ્કર ટોક શોમાં ચર્ચા કરી હતી. આ ચર્ચામાં જાબીર ચોકસી, વિજય ભટ્ટ, કમલેશ વૈષ્ણવ, હિરેન દેસાઈ, અમિત વાઘાણી, બલદેવ માઘવાણી, નરેન્દ્ર કોટડીયા, નિલેશ પટેલ, સુરેશ પટેલ, મહેશ સાવલીયા, મનિષ ગજજર, આશિષ માંજરાવાલા સહિતના સભ્યો જોડાયા હતા. સુરતમાં 2017માં બનેલો ડેવલપમેન્ટ પ્લાન વર્ષ 2026માં પણ ફાઇનલ થયો ન હોવાનો સૂર વ્યક્ત કરાયો પરમિશન સિસ્ટમ: ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં ઓફલાઇન કાગળ મંગાય છેપ્લાનની ઓનલાઈન પરમિશન સિસ્ટમ છતાં પાલિકા દ્વારા ઓફ લાઈનમાં તમામ કાગળો મંગાય છે જે ઊચિત નથી. આ બંને પ્રક્રિયામાં 40 ટકા કપાતનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ટી.પી.ઓ. દ્વારા પ્લોટ એલોટ કરાયાના 25 વર્ષ બાદ જનરલ કપાત માટે જણાવી દેવાતા કંઈ રીતે આપી શકાય એ પ્રશ્ન છે. પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ દર વર્ષે લેવાની જોગવાઈમાં સુધારાની જરૂર છે. સરકારે આ માટે એસઓપી (SOP) બનાવવાની જરૂર છે. ટાઉન પ્લાનિંગ: મંજૂરી પ્રક્રિયા લાંબી, સુધારાની કલમ 19 ધંધો બની ગયો છેટાઉન પ્લાનિંગમાં મંજૂર કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા ખુબ લાંબી છે. એમાં પણ કલમ 19 હેઠળ વારંવાર સુધારા ખરેખર એક ધંધો બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતમાં વર્ષ 2017માં બનેલો વિકાસ પ્લાન આજે વર્ષ 2026માં પણ ફાઇનલ થયો નથી. સુધારાના નામે થતો ખેલ બંધ થવો જોઈએ. ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં પણ ડી.પી.ના નકશા આપી દેવાય છે જેને કારણે પ્લાન પાસ થતા નથી. બે દિવસ પૂર્વે જ ફરી સુધારા માટે દરખાસ્ત થઈ છે. લાયસન્સ સસ્પેન્શન: આગના બનાવમાં ઇજનેરો, આર્કિટેક્ટ બલિનો બકરોબિલ્ડિંગોમાં આગના બનાવોમાં પણ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બરની જવાબદારી નક્કી કર્યા વિના આર્કિટેક્ટ અને એન્જિનિયરને બલિનો બકરો બનાવી લાયસન્સ 6 મહિના કે કાયમ માટે સસ્પેન્ડ કરાય છે. ફાયર કન્સલ્ટન્ટના લાયસન્સ પણ કાઢી નખાયા છે. પાલિકા ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ આપ્યા વિના લાયસન્સ કાયમ માટે પણ સસ્પેન્ડ કરી દે છે. જ્યાં અમારી ભૂમિકા જ નથી ત્યાં પગલાં લેવાઈ રહ્યા છે. ઇમ્પેક્ટ ફીનો કાયદો: ગેરકાયદે બાંધકામ કરનારા હવે બેખોફ બની ગયા છેરાજ્ય સરકારે તત્કાલ ઇમ્પેક્ટ ફીનો કાયદો સમાપ્ત કરવો જોઈએ. ગૃડાનું નોટિફિકેશન પહેલાં છ મહિનાનું હતું આજે ચોથા વર્ષે પણ ચાલુ છે. ઇમ્પેક્ટ ફી દર વર્ષે રિપિટ કરવાને કારણે જ ગેરકાયદે બાંધકામ કરનારાઓ બેખૌફ થઈ રહ્યા છે. બાંધકામ કરો અને ફી ભરીને રેગ્યુલરાઈઝ કરી દો એ ચલણ બની ગયું છે. એસેસમેન્ટ અને પ્લાન પાસ કરવાના સમયે જ શા માટે ચોકસાઈ રખાતી નથી એ પ્રશ્ન છે. બિલ્ડિંગ બાયલોઝને પાંગળો બનાવાઈ રહ્યો છે... ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે બિલ્ડિંગ બાયલોઝને નબળો પડાઈ રહ્યો છે. નેશનલ બિલ્ડિંગ કોડને ડાયલ્યુટના નામે સુધારા કરાઈ રહ્યા છે. એન.ડી.સી.ના આધારે બાયલોઝ બનતા હતા, જે ગીતા સમાન હતા એ નબળા પડતાં હવે બાયલોઝ કંઈ રીતે બનશે એ પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:33 am

ભાસ્કર એક્સક્લુસિવ:માપદંડો બદલાતાં ડ્રેનેજના 1200 કરોડના ટેન્ડર પર બ્રેક, મોટા વરાછા, ઉત્રાણમાં 3 વર્ષથી નેટવર્કના ફાંફાં

2020માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટર લાઈન માટે 3 વર્ષથી ચાલતી કવાયત કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાને કારણે રોકી દેવાઈ છે. મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ અને વાલકમાં STP બનાવી લાઇન નાખવા 1200 કરોડના ટેન્ડર સોંપવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. STPમાં ટ્રીટ થઇ જળાશયોમાં છોડાતા પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)ના માપદંડ હવે 5ને બદલે 10 રાખવાની સૂચના મળતાં ટેન્ડર સ્ક્રેપ કરી દેવાયા છે. ઉપરાંત નદીમાં જતું પાણી પહેલાં કરતા થોડું ઓછું શુદ્ધ થશે. સ્માર્ટ સિટી સુરતમાં નદી શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ માટેની કામગીરીમાં મોટો વળાંક આવ્યો છે. ભાસ્કર એક્સપર્ટખર્ચ તો ઘટશે પણ લાંબા ગાળે નદીમાં જૈવિક કચરો વધી શકે છેડો. પંકજ ગાંધીએ કહ્યું કે, ખર્ચ ઘટશે કેન્દ્રના ધોરણો સાથે સુસંગતતા હોવાથી ગ્રાન્ટ મેળવવામાં સરળતા પણ રહેશે. પાણીને વધુ શુદ્ધ કરવા વધુ વીજળી અને કેમિકલ્સ જોઈએ છે, જેથી હવે નદીમાં છોડાતું પાણી થોડું ઓછું શુદ્ધ થશે. નદીને શુદ્ધ રાખવા માટે BOD 5 મુજબ STP બનાવાતા હતાડ્રેનેજ વિભાગના ઇજનેર રાકેશ મોદીએ કહ્યું કે, સરકારની સૂચના મુજબ હવે BOD 5ને બદલે 10 રાખી તે માત્રા પ્રમાણે જ નવા STP બનાવવા, જેથી હાલ ટેન્ડર રોકી હવે નવેસરથી બહાર પડાશે.’ ઉલ્લેખનીય છે કે, નદીને વધુ શુદ્ધ રાખવા અત્યાધુનિક ટેકનોલોજીનો આગ્રહ રખાતાં ખર્ચ વધતો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:કંબોડિયામાં CBI-કોર્ટના સેટ બનાવી ચીનીઓના ઈશારે વડીલોને ડિજિટલ એરેસ્ટ કરી કરોડોનું ફ્રોડ

સવારનો સમય છે, તમે શાંતિથી ચા પી રહ્યા છો અને અચાનક તમારા વીડિયો કોલ આવે છે. સ્ક્રીન પર દેખાય છે મુંબઈ ક્રાઇમબ્રાંચ કે CBIની ઓફિસ, પાછળ ભારત સરકારનો લોગો છે અને ખાખી વર્દીમાં બેસેલો ઓફિસર કહે કે તમારા નામે MD ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે. તમે ડિજિટલ એરેસ્ટ છો. કેમેરો બંધ ન કરતા, નહીંતર પોલીસ ઘરે આવશે. આ રીતે ડરાવી સુરત સહિત દેશભરમાં લાખો વૃદ્ધો પાસેથી કંબોડિયામાં બેઠેલી ચાઇનીઝ ગેંગે કરોડો પડાવ્યા છે. કંબોડિયામાં આ ગેંગની ટ્રાન્સલેટર મૂળ હૈદરાબાદની યુવતીને સુરત સાઈબર ક્રાઈમે પકડી તો આ આંતરરાષ્ટ્રીય રેકેટ ખુલ્યું હતું. કંબોડિયામાં ભવ્યો ઓફિસોમાં ભારતની CBI-ઇડીની કચેરી, સુપ્રીમ કોર્ટ, મુંબઈ ક્રાઇમબ્રાંચના ફિલ્મી સેટ બનાવાયા છે. બેકગ્રાઉન્ડમાં નકલી જજ-વકીલો. પોલીસ કચેરીમાં નકલી અધિકારી તો CBI/EDમાં ફાઇલના ઢગલા છે. આથી વૃદ્ધો વર્દીમાં અધિકારીઓને જોઈ ડરી જાય છે અને રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. આબરું જવાનો ડર બતાવી લૂંટએકલા રહેતા વડીલોને કાયદાનો ડર બતાવી કલાકો સુધી વીડિયો કોલ પર ‘કેદ’ કરાય છે. પછી ફિલ્મીઢબે ધમકી અપાય છે કે તમારી આબરું એક મિનિટમાં ધૂળમાં મળી જશે., બચવું હોય તો રૂપિયા ટ્રાન્સફર કરો. કોઈને પણ કહ્યું તો જેલમાં જશો. 1 વર્ષમાં 4 વડીલોને ઉગારાયાશહેરમાં 2024-2025માં નોંધાયેલા તમામ 15 ગુના ઉકેલ્યા છે, જેમાં પોલીસે 50ને સળિયા પાછળ ધકેલ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 4 લોકોને ડિજિટલ અરેસ્ટથી બચાવ્યા છે, જેમાં 3 વૃદ્ધો છે. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા 2 કરોડ બચ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:27 am

સિટી એન્કર:પોલીસે વર્ષોથી ગુમ થયેલા 591 બાળકો, યુવાઓ, વૃદ્ધો-મહિલાઓને 4 મહિનામાં શોધી પરિવારને સોંપ્યા, બાળકો-અપહરણના મહત્તમ કેસ

સુરત પોલીસે હવે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓ વર્ષોથી લાપતા છે અને જેમના કેસ ફાઈલોમાં દબાઈ ગયા હતા. પોલીસના આ પ્રયાસથી છેલ્લા ચાર મહિનામાં 591 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધોથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ 15-20 વર્ષથી લાપતા હતા. પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોના પડતર કેસોના રેકોર્ડ, રજિસ્ટર અને દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા છેડેથી તપાસ શરૂ કરી, ત્યારે જઈને આ લોકો મળી આવ્યા છે. દર મહિને વધી રિકવરી નોંધ: ડિસેમ્બરમાં શોધાયેલા લોકોમાં 41 બાળકો, 53 પુખ્ત વયનાનો સમાવેશ છે. ‘ઓપરેશન મુસ્કાન’માંથી પ્રેરણા લઈને ‘મિશન મિલાપ’ શરૂ કરાયુંડીજીપીએ ઓપરેશન મુસ્કાનની શરૂઆત કરી હતી, જેના પરથી પ્રેરણા લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘મિશન મિલાપ’ શરૂ કર્યું હતું. તેમણે 2007થી ગુમ થયેલા 4500 લોકોનો ડેટાબેઝ બનાવી જૂના રેકોર્ડ ફરીથી તપાસ્યા હતા. ટેકનોલોજીથી લોકેશન ટ્રેસ કરાયાંપોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સતત ઉપયોગ કરે છે. પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા અને આધાર ડેટાથી પણ લોકેશન ટ્રેસ કરાયાં છે. - કરણરાજ વાઘેલા, એડિ. સીપી લોકેશન ટ્રેસ કરીને શોધખોળપોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અલગ-અલગ રાજ્યોમાં ટીમો મોકલીને ગુમ થયેલા લોકોની શોધ કરી. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ, સરપંચ અને ગામના પ્રતિનિધિઓના સંપર્ક દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:25 am

માનવતા મહેકાઈ:સુરત: રસ્તામાં હાર્ટ અટેક આવતા બે યુવકો મદદ માટે આવ્યા અને સીપીઆર આપી જીવ બચાવ્યો

સુરતમાં માનવતાની એક જીવંત મિસાલ સામે આવી છે, જ્યાં અજાણ્યા યુવકોએ રસ્તા પર પોતાની બાઈક મૂકી એક અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા માટે કારમાં જ મોઢાથી સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. ઉમરા બ્રિજ પર બનેલી આ ઘટનામાં હાર્ટ એટેક આવેલા પંકજ પરમારનું લગભગ 20 મિનિટ સુધી હ્રદય ધબકતું બંધ થઈ ગયું હતું, અને દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ બની ગઈ હતી. એક તરફ મિત્ર અમિત પટેલ ટ્રાફિક વચ્ચે સતત હોર્ન મારતા ઝડપથી કાર હોસ્પિટલ તરફ દોડાવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તામાં મળેલા યુવકો કારમાં જ સતત સીપીઆર આપીને જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જોડાયેલા ડોક્ટર અને હોસ્પિટલમાં તૈયાર રહેલી ટીમ આ બધાના સંયુક્ત પ્રયાસોથી અંતે પંકજ પરમારને નવજીવન મળ્યું હતું. અમિત પટેલે જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમમાં હતા ત્યારે પંકજ પરમારની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેઓ તરત જ પંકજને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા અને માર્ગમાં ડો. સંજય શાહને ફોન કરીને મદદ માટે બોલાવ્યા. પરંતુ ઉમરા બ્રિજ પાસે પહોંચતા પંકજ બેહોશ થઈ ગયા અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આ સમયે અમિત પટેલ ગભરાયા છતાં હિંમત રાખીને સતત હોર્ન મારતા કાર ઝડપથી દોડાવતા રહ્યા. એ દરમિયાન ઉત્સવ મૈસુરિયા અને તેમના મિત્ર દેવ ટિકિટવાલા કાર પાસે પહોંચ્યા. પરિસ્થિતિ સમજતા જ તેઓ પોતાની બાઈક રસ્તા પર મૂકી કારમાં બેસી ગયા અને તરત જ પંકજને સીપીઆર આપવાનું શરૂ કર્યું. થોડી જ વા રમાં ડો. સંજય શાહ પણ કારમાં જોડાયા અને તેમણે છાતી પરથી સીપીઆર આપવાનું શરૂ કર્યું, જ્યારે ઉત્સવ અને તેમના મિત્ર મોઢાથી સીપીઆર આપી રહ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ ડો. ગુંજનને જાણ કરી દેતાં હોસ્પિટલમાં ટીમ તૈયાર હતી.લગભગ 20 મિનિટ સુધી પંકજ પરમારનું હ્રદય બંધ રહ્યું હતું, છતાં રસ્તામાં મળેલા યુવકોની તાત્કાલિક મદદ, ડોક્ટરની સારવાર અને સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે તેમનો જીવ બચાવી શકાયો.આ સમગ્ર ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે આજે પણ માનવતા જીવંત છે અને મુશ્કેલીના સમયે અજાણ્યો માણસ પણ સૌથી મોટો સહારો બની શકે છે. કાર સતત હોર્ન મારી રહી હતી તેથી અમે પાસે ગયા‘હું મારા મિત્ર દેવ ટિકિટવાલા અને નિલેશ જયસ્વાલ સાથે બાઈક પર જઈ રહ્યો હતો. પાલ ઉમરા બ્રિજ પાસે એક કાર ચાલક સતત હોર્ન મારી રહ્યા હતા. મને કંઈક અજીબ લાગ્યું એટલે અમે કાર પાસે જઈને જોયું તો અંદર એક વ્યક્તિ બેહોશ હાલતમાં હતા અને તેમના મિત્રો તેમને ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર હોવાનું સમજતા અમે તરત જ તેમને સીપીઆર આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ લાગતા અમે બાઈક રોડ પર જ મૂકી કારમાં બેસી ગયા અને હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી તેમને મોઢાથી સીપીઆર આપતા રહ્યા. રસ્તામાં એક ડોક્ટર પણ કારમાં જોડાયા. અમે પંકજભાઈને ઓળખતા પણ નહોતા, પરંતુ તે સમયે એક જ વિચાર આવ્યો કે એક માણસનો જીવ બચાવવો સૌથી મોટું કામ છે. ભગવાને અમને એક માણસને બચાવવાનું કામ આપ્યું એવું મને લાગે છે.’> ઉત્સવ મૈસુરિયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:22 am

મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે:સૌરાષ્ટ્ર જતી ટ્રેનને બાયપાસ કરવા ગેરતપુર-સાણંદ-સાબરમતી રૂટ પર ચોથી લાઇન નખાશે

વટવા-સાબરમતી વચ્ચે અમદાવાદ શહેરને બાયપાસ કરતી ચોથી રેલવે લાઇનનું કામ બે તબક્કામાં શરૂ કરાયું છે. લગભગ 1275 કરોડના ખર્ચે તૈયાર થનારી આ 59 કિમીની નવી લાઇનથી ટ્રેનોના રૂટમાં 12 કિમીનો ઘટાડો થતા મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે. વડોદરા તરફથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવવી પડે છે. સ્ટેશન પર આવતી ટ્રેનોને ઘણીવાર આઉટર પર 15થી 20 મિનિટ વેઇટિંગમાં ઊભી રાખવી પડે છે. નવી લાઇન શરૂ થતા ટ્રેનો ગેરતપુરથી સીધી સાણંદ નીકળી જશે, જેથી કાલુપુરમાં ભારણ ઘટશે. નવી લાઇનથી ટ્રેનના રૂટમાં 12 કિમીનો ઘટાડોપેસેન્જરોની ભીડ અને ટ્રેનોના ટ્રાફિકને કારણે કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ક્લિયરન્સ મેળવવામાં ટ્રેનોને આઉટર પર લાંબો સમય ઊભી રાખવી પડે છે. નવી બાયપાસ લાઇન શરૂ થતા ટ્રેનોને કાલુપુર લાવ્યા વગર સીધી જ પસાર કરી દેવાશે, જેના પરિણામે ટ્રેનોના રૂટમાં 12 કિમીના અંતરનો ઘટાડો થશે. આ ફેરફારથી સ્ટેશન પરના ટ્રાફિક વેઇટિંગ અને વધારાના કિલોમીટર ઘટતા મુસાફરી સમયમાં 45થી 60 મિનિટની સીધી બચત થશે. મુસાફરો સાબરમતી કે સરખેજથી ટ્રેન પકડી શકશે 59 કિમીની બાયપાસ લાઇનનું કામ બે તબક્કામાં થશે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:18 am

લ્યો બોલો!:ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ તે જ દિવસે મનપાએ 15 ટેન્ડર વેબસાઈટ પર ચડાવ્યા!

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હાલ આચારસંહિતા હોવાથી મનપા કોઇ કાર્યક્રમો ન કરી શકે તેમજ ટેન્ડર પણ બહાર પાડી ન શકે. જોકે મનપામાં બધાને અણસાર તો હતો જ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને લઈને મનપાએ ટેન્ડર તૈયાર કરીને જ રાખ્યા હતા અને ચૂંટણી જાહેર થવાની જ રાહ જોવાતી હતી. ચૂંટણી જાહેર કરવા માટે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યાં તુરંત જ મનપાએ ધડાધડ વેબસાઈટ પર ટેન્ડર ચડાવવાના ચાલુ કરી દીધા હતા અને કલાકોમાં જ નવા 15 ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ 15 ટેન્ડરમાં આવાસ યોજનાના ટેન્ડર છે જે અગાઉથી જ નક્કી હતા. આ સિવાય અલગ અલગ વિસ્તારો ખાસ કરીને માધાપરમાં કાચા રોડ પર મેટલિંગકામ કરવાના ટેન્ડર, વિવિધ રોડ પર પેવર બ્લોકના કામનું ટેન્ડર, ટોઈલેટ બ્લોક બનાવવાનું કામ, સિમેન્ટ રોડ બનાવવાના કામ, બાયો મેડિકલ વેસ્ટ અંગેનું ટેન્ડર સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરની છેલ્લી તારીખ 20 તારીખની આસપાસ છે એટલે કે મતદાન પહેલાં જ ટેન્ડરની તારીખ પૂરી થાય છે. ત્યારબાદના 10 દિવસ સુધીમાં અધિકારીઓ મોટાભાગની કામગીરી પૂરી કરી લેશે. નવી બોડી આવતા વેંત જ કરશે નવા ટેન્ડરનો ‘વહીવટ’ટેન્ડર બાદ કામ શરૂ કરવાની વહીવટી મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં મળે છે. ત્યારબાદ જ એજન્સી કામ ચાલુ કરી શકે છે. હાલ અધિકારીઓએ ટેન્ડરની લાઈન કરી દીધી છે અને નવી બોડી આવશે એટલે તેનું લિસ્ટ તૈયાર થઈ જશે અને ત્યારબાદ દરખાસ્ત બનશે. સ્ટેન્ડિંગ કમિટીની રચના થશે એટલે તુરંત જ આ દરખાસ્તોને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને મંજૂરી અપાશે. આ વહીવટ થઈ ગયા બાદ હવે નવા કામ શરૂ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:17 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:રંગ ઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે જ રંગબેરંગી કચરાના ઢગલા, હવે સ્થાનિકો ફરિયાદ કરી થાક્યા

રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલ રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓ વિચિત્ર સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સોસાયટીની સામે જ આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા શાકભાજીના ધંધાર્થીઓ દરરોજ સડેલા શાકભાજીનો કચરો અહીં જ ઠાલવી રહ્યા હોવાથી રંગ ઉપવન સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધ અને રંગબેરંગી કચરાથી થાકી ગયા છે. ન્યૂસન્સ પોઇન્ટ તરીકે ઊભરી આવેલા આ સ્થળ પરથી કચરો હટાવવા થોકબંધ ફરિયાદો કરવા છતાં પણ કોર્પોરેશન નક્કર પગલાં લઇ શકતું નથી. એરપોર્ટ રોડ પર છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે પણ આવી જ સ્થિતિ છે. અહીં કચરાના ઢગલા ખડકાવવાની સાથે દરરોજ ગેરકાયદેસર રીતે ભરાતી ગુજરી બજારમાં ભંગારના ધંધાર્થીઓ હનુમાનમઢી ચોકથી લઇ રંગ ઉપવન સોસાયટીના ગેટ સુધી રસ્તો જામ કરી દેતા હોવા છતાં પણ ન તો મહાનગરપાલિકા કે ન તો પોલીસ એક્શન લેતી ન હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો હવે તો ફરિયાદ કરી-કરીને પણ થાક્યા છે. ખાસ કરીને રંગ ઉપવન સોસાયટી પાસે કચરાના ઢગલા ખડકાતા હોવા છતાં કોર્પોરેશન તંત્ર અહીં કચરો ફેંકતા તત્ત્વો સામે પગલાં લેવાને બદલે ઉકરડાના સ્થળે સિમેન્ટના પાકા પ્લેટફોર્મ જેવી સુવિધા ઊભી કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:12 am

ફળઝાડના નામે સરકારી જમીન હડપવાનું બહાનું નિષ્ફળ:ફળઝાડના હેતુની જમીનમાં 2021ને બદલે 448 વૃક્ષનો જ ઉછેર કર્યો એટલે જમીન શ્રીસરકાર

રાજકોટ શહેર નજીક ફળઝાડના હેતુ માટે કિંમતી સરકારી જમીન મેળવી લીધા બાદ સરકારના જમીન ફાળવણીના નિયમ મુજબ આવી જમીનમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવતું ન હોવાથી તાજા ભૂતકાળમાં ત્રણેક આસામીઓ સામે શરતભંગના પગલાં લઇ આસિસ્ટન્ટ કલેક્ટરે જમીન ખાલસા કરવા હુકમ કર્યો હતો. જે પૈકી રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે ફળઝાડના હેતુ માટેની જમીનમાં પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાથી શ્રીસરકાર થયેલી જમીન બચાવવા અપીલ કરનાર આસામીની અપીલ જિલ્લા કલેક્ટરે ફગાવી દઈ મદદનીશ કલેક્ટરનો હુકમ યથાવત્ રાખ્યો હતો. આ કેસમાં ફળઝાડના હેતુ માટે જમીન મેળવનાર આસામીએ છ એકર જમીન બચાવવા વૃક્ષ ન ઉછેરવા માટે ક્લાઇમેટ ચેન્જનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ કલેક્ટરે આ બહાનાને ફગાવી દીધું હતું. રાજકોટ તાલુકાના ફાળદંગ ગામના રેવન્યુ સરવે નંબર 253 પૈકી 1ની 6 એકર જમીન વર્ષ 1970માં નાયબ કલેક્ટર રાજકોટ દ્વારા 30 વર્ષ માટે ફળઝાડ ઉછેરના હેતુ માટે લાભચંદ દેવચંદ કોટકને નવી અને અવિભાજ્ય શરતે ફાળવી હતી.જેમાં મૂળ લાભાર્થીના અવસાન બાદ ચાર વારસદારના નામે જમીન વારસાઈ કરી છેલ્લે ચંદ્રકાન્ત લાભચંદ કોટકના નામે આવેલી છે. આ જમીનમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાની સાથે ભાડાપટ્ટાની મુદત પણ પૂર્ણ થઇ હોય મદદનીશ કલેક્ટર રાજકોટ સિટી-2 દ્વારા શરતભંગના પગલાં લઈ વર્ષ 2025માં સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે લાભાર્થીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી વૃક્ષની ઓછી સંખ્યા મામલે ક્લાઇમેટ ચેન્જની અસર તળે વૃક્ષ બળી ગયા હોવાનું તેમજ કેળા અને પપૈયાના વૃક્ષ બે વર્ષમાં જ સુકાઈ જતા હોવાનું અને ઝેરી અસર તળે અન્ય ઝાડ સૂકાઈ ગયાની દલીલ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટરે છ એકર જમીનમાં નિયમ મુજબ 2021 વૃક્ષને બદલે માત્ર 448 વૃક્ષનું જ વાવેતર હોય મદદનીશ કલેક્ટરના હુકમને યથાવત્ રાખી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ફળઝાડના હેતુ માટે એક એકરે 335 વૃક્ષનું વાવેતર કરવું પડેસરકાર દ્વારા ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવતી સરકારી જમીનમાં નિયમ મુજબ પ્રતિ એક એકરમાં ફળઝાડના 200 અને ઇમારતી પ્રકારના 135 વૃક્ષ વાવેતર કરવાનો નિયમ છે. જે નિયમ મુજબ પ્રસ્તુત કેસમાં છ એકર જમીનમાં નિયમાનુસાર 2021 વૃક્ષ વાવવાને બદલે ભાડાપટ્ટે જમીન રાખનારે માત્ર 448 જ વૃક્ષ વાવ્યા હોવાનું પંચરોજકામમાં સામે આવ્યું હતું. ભાડાપટ્ટેદારે વૃક્ષ બળી જવા પાછળ જમીનમાં મુંડા આવી જવા, કુદરતી સુકારો, વાવાઝોડું, ઉંદર જવાબદાર હોવાની પણ અપીલ કેસ દરમિયાન દલીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:10 am

'હવે તો કિન્નરોને જ ચૂંટણી લડાવવી છે':જૂનાગઢના જર્જરિત કડિયાવડના રહિશોની હૈયાવરાળ, કહ્યું-'નેતાઓ પાસે જીવતા લોકો માટે સમય નથી, મડદા સાથે સ્મશાને ફોટા પડાવવા આવી જશે'

જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને બેદરકારીનો કહેર ફરી એક વાર સામે આવ્યો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે તંત્રએ મોટા-મોટા બણગા ફૂંક્યા હતા પરંતુ, આજે પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિકોનો આક્રોશ એ હદે વધી ગયો છે કે, તેઓ હવે કહેવા લાગ્યા છે — કાડીયાવાડમાં હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે, કારણ કે સામાન્ય નેતાઓ અને તંત્ર તેમની વેદના સમજતા જ નથી. જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા તપાસવા જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અત્યંત ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. શું મકાન માલિકોને ભાડામાં રસ અને તંત્રને જાનહાનિની રાહ?કડિયાવાડ શાક માર્કેટમાં આજે પણ 50થી વધુ ઇમારતો અતિ જર્જરિત હાલતમાં અડીખમ ઉભી છે. નાની અને સાંકડી ગલીઓમાંથી હજારો લોકો પસાર થાય છે, જેમની ઉપર આ ઇમારતોના પોપડા અને લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જોખમી ઇમારતોમાં હજુ પણ 12થી વધુ વિધાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરી રહ્યા છે. મકાન માલિકોને માત્ર ભાડામાં જ રસ છે અને તંત્રને કદાચ કોઈ મોટી જાનહાનિની રાહ જોવી હોય તેમ લાગે છે. 'હવે અમારે કિન્નરોને જ ચૂંટણી લડાવવી પડશે, કદાચ એ અમારી વેદના સમજે'કડિયાવાળમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટ જે છેલ્લા 63 વર્ષથી બેલદાર શેરીમાં રહે છે, તેઓ આક્રોશ સાથે જણાવે છે કે કડિયાવાડમાં હાલના કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. આઠ-આઠ મહિના વીતી જવા છતાં ગટર, પાણી કે રોડના કામો થતા નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમારે અહીં કોઈ રાજકીય નેતા નહીં પણ કિન્નરોને ચૂંટણી લડાવવી છે કારણ કે કદાચ તેઓ અમારી વેદના સમજશે. ચંદ્રેશભાઈ પોપટ જે મકાનમાં રહે છે તે અતિ જર્જરિત છે અને તેઓ પોતે આ બિલ્ડિંગ ઉતારી લેવા તૈયાર હોવા છતાં ભાડૂઆતો ખાલી કરતા નથી. તેઓ ભય વ્યક્ત કરતા કહે છે કે જો મનપા કમિશનર રૂબરૂ આવીને કડક હુકમ નહીં કરે, તો એક દિવસ તેઓ પોતે જ આ મકાનના કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામશે. 'એક વર્ષ પહેલાં ખરાબ રોડને કારણે મણકા તૂટી ગયા'કડિયાવાડ વિસ્તારની એક શેરીમાં રહેતા વસંતબેન તેરૈયાની આપવીતી પણ કંપારી છૂટી જાય એવી છે. તે જણાવે છે કે, આ વિસ્તારમાં ચાર મકાનો તો અત્યંત ભયજનક છે. વસંતબેન પોતે એક વર્ષ પહેલાં આ જ ગલીઓમાં ખરાબ રોડને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના મણકા તૂટી ગયા હતા છતાં કોઈ કોર્પોરેટરે તેમની ખબર સુદ્ધાં લીધી નહોતી. જ્યારે કોઈ મરી જાય ત્યારે આ નેતાઓ સ્મશાનમાં આવીને પણ ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ જીવતા માણસોની સુવિધા માટે તેમની પાસે સમય નથી. ગઈકાલે મહિલા ઇજાગ્રસ્ત થઈ તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે અને તેઓ કહે છે કે જવાબદારો લોકોની બદદુઆ લઈ રહ્યા છે. 'ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત છતાં એક નોટિસ નથી ફટકારી'વસ્તા લાધા શેરીમાં રહેતા મિલનભાઈ વ્યાસ જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની ગલીમાં બે મકાનો એટલી ખરાબ હાલતમાં છે કે તેના છજ્જા ગમે ત્યારે કોઈના માથે ખાબકી શકે છે. ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત કરવા છતાં હજુ સુધી એક નોટિસ પણ પાઠવવામાં આવી નથી. મનપા કમિશનરને ચેલેન્જ આપે છે કે જો તેઓ રૂબરૂ આવીને તપાસ કરે અને એન્જિનિયરો આ મકાનોને સુરક્ષિત સાબિત કરી આપે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. છેલ્લા છ મહિનાથી અહીંની શેરીઓ ખોદી નાખવામાં આવી છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, પણ કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. ‘કાગળની કામગીરી છોડો ને ગ્રાઉન્ડ લેવલ પર ઊતરી મોતના માચડા દૂર કરો’વૃદ્ધા મનોરમાબેન જોશી પણ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તે કહે છે કે, અમારે દરરોજ મોતના મુખમાં જીવવું પડે છે. રસ્તાઓ તો ખરાબ છે જ, પણ ઉપર જોતા ચાલવું પડે છે કે ક્યારે કોઈ પથ્થર કે સ્લેબનો ભાગ માથે પડે. કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં હોય તેવું લાગતું જ નથી, કારણ કે અહીંના લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી. તંત્રની આ લાપરવાહી અને મકાન માલિકોની લોભવૃત્તિ વચ્ચે કડિયાવાડનો સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. બે વર્ષ પહેલાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગેજો સમય રહેતા આ 50થી વધુ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બે વર્ષ પહેલાં બનેલી એ હૃદયદ્રાવક ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓએ કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલ પર આવી આ મોતના માચડાઓ દૂર કરવા જોઈએ જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો ન પડે. મહાનગરપાલિકાનું તંત્ર કદાચ મોટી જાનહાનિ બાદ સફાળું જાગેજ્યારે આ તો માત્ર ભાસ્કરની નજરે ચડેલી જર્જરીત બિલ્ડીંગો છે ત્યારે હજુ પણ 50થી વધુ જર્જરીત બિલ્ડીંગો અને મકાનો કડિયાવાળમાં મોતના માચડા સમાન ઊભા છે. પરંતુ હાલ જે પ્રમાણે ઘટના ઘટી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, કદાચ જુનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ મોટી જાનહાનિ થાય અને ત્યારબાદ સફાળું જાગી કામગીરી કરે ત્યારે લોકોની વ્યથા અને વેદના એટલી હદ વટાવી ગઈ છે કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે હવે આ વિસ્તારમાં કિન્નરોને ચૂંટણી લડાવવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:05 am

સિટી એન્કર:રેલવેનું રક્ષાકવચ : રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની 39 લાખની મત્તા પરત કરી, 27 ગુમ ભૂલકાંને પરિવારને સોંપ્યા

રેલવેમાં મુસાફરી કરતી વખતે જ્યારે કિંમતી સામાન ખોવાઈ જાય અથવા ભીડમાં નાનકડું બાળક વિખૂટું પડી જાય, ત્યારે મુસાફર પર શું વીતતી હોય છે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી કટોકટીની પળોમાં રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ ‘ખાખી’ની સખ્તાઈની સાથે માનવતાનો એવો ચહેરો રજૂ કર્યો છે જે મિસાલ બની ગયો છે. નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026) દરમિયાન રાજકોટ RPF એ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવી, પણ ‘સેવા હી સંકલ્પ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની રૂ.39 લાખની ‘અમાનત’ પરત કરી, ખોવાયેલા 27 ભૂલકાંને શોધી પરિવારને સોંપ્યા છે. મુસાફરી દરમિયાન ઉતાવળ કે ભૂલથી છૂટી ગયેલા સામાનને સુરક્ષિત રીતે તેના માલિક સુધી પહોંચાડવા માટે RPF એ ‘ઓપરેશન અમાનત’ ચલાવ્યું હતું. આ અંતર્ગત 352 મુસાફરને તેમનો અંદાજે રૂ.38,98,484 ની કિંમતનો સામાન (જેમાં લેપટોપ, મોબાઈલ, દાગીના અને રોકડનો સમાવેશ થાય છે) સહી-સલામત પરત સોંપવામાં આવ્યો છે. આ સિદ્ધિએ રેલવે પ્રશાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ બેવડાવ્યો છે. RPFની સૌથી સંવેદનશીલ કામગીરી ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ જોવા મળી. સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા 27 બાળકોને શોધીને કાઉન્સેલિંગ કરી તેમને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાવ્યા હતા. તેવી જ રીતે ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ 12 અન્ય વ્યક્તિઓને પણ તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. RPFની એક વર્ષની કામગીરી પર નજર: ચેઈન પુલિંગના 446 કેસ નોંધ્યા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:04 am

બોજ નહીં, સહારો બનવું છે:29 કિલોના દિવ્યાંગ યુવાન પણ પરિવારને કરે છે સહાય

જીવનમાં પરિસ્થિતિઓ ઘણીવાર માણસને નબળો બનાવી દે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી લે છે. રાજકોટના 35 વર્ષીય મિલનભાઈ અશોકભાઈ વ્યાસ એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. માત્ર 29 કિલો વજન ધરાવતા મિલનભાઈને સ્પાઇનની ગંભીર તકલીફ છે. જેના કારણે તેમના હાથ અને પગમાં સતત દુખાવો રહે છે અને શરીરનો વિકાસ પણ પૂરતો થયો નથી, છતાં આ શારીરિક મર્યાદાઓ તેમના મનોબળને નબળું બનાવી શકી નથી. છેલ્લા 6 વર્ષથી મિલનભાઈ અગરબત્તી વેચવાનો નાનો વ્યવસાય કરે છે. રોજ સવારે મવડી ચોકડી પાસે અને સાંજે 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે અગરબત્તી વેચતા જોવા મળે છે. તેમના પરિવારમાં કુલ 5 સભ્ય છે, જેમાં ભાઈ અને બહેન બંને મનોદિવ્યાંગ છે. પરિવારનું એકમાત્ર આવકનું સાધન તેમના પિતા અશોકભાઈ છે, જેઓની ઉંમર વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં મિલનભાઈએ પરિવાર પર બોજ બનવાને બદલે જાતે કમાઈ પરિવારને સહારો આપવાનો સંકલ્પ લીધો છે. તેમની આ લાગણી અને મહેનત એ દર્શાવે છે કે, સાચું બળ શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત ન હારતા મિલનભાઈ આજે અનેક લોકો માટે જીવંત પ્રેરણા બની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:02 am

નિવૃત્ત બેંક કર્મચારીનો કાઉન્સેલિંગ અને કલમનો સંગમ:નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ : લોકોને શાંતિથી સાંભળી ‘મનનો ભાર’ હળવો કરવાનું કાર્ય

કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું. આ સમય માત્ર શારીરિક બીમારીનો જ નહોતો, પરંતુ તેણે અનેક પરિવારોની આર્થિક અને માનસિક કમર તોડી નાખી હતી. આવા કટોકટીના સમયે લોકોના મનમાં આશાનો સંચાર કરવા માટે નિવૃત્ત બેંક કર્મચારી કમલેશ પંડ્યાએ નિવૃત્તિના સમયમાં મનોવૈજ્ઞાનિક પરામર્શ એટલે કે કાઉન્સેલિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જરૂરિયાતમંદ લોકોને પૂરતો સમય આપી, તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમની માનસિક સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ કાર્યમાં માત્ર વાતો જ નહીં, પરંતુ ભાવાત્મક અને આધ્યાત્મિક અભિગમ પણ અપનાવવામાં આવ્યો. આ નિઃશુલ્ક સેવા માત્ર કોરોનાકાળ પૂરતી મર્યાદિત ન રહેતા ત્યારબાદ પણ ચાલુ રહી. આજે સમાજમાં અનેક પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, અભ્યાસમાં નિષ્ફળતાનો ડર, પરિવારોમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને મોબાઈલ કે અન્ય વ્યસનોને કારણે પતિ-પત્ની અને બાળકો વચ્ચે વધતું જતું અંતર એક ગંભીર સમસ્યા બની ગઈ છે. લોકો પાસે સમય હોવા છતાં તેઓ પોતાની જાત સાથે સમય વિતાવતા નથી. સોશિયલ મીડિયાના અતિરેકને કારણે માનવી અંદરથી એકલો પડી રહ્યો છે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં તો લોકો “જીવનમાં હવે કોઈ રસ રહ્યો નથી’ તેવી ફરિયાદ સાથે આવે છે. આવા સમયે તેમને સર્જનાત્મક કાર્યો, સંગીત, વાંચન અને જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર લાવવાની પ્રેરણા આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ પણ હવે સ્વીકારે છે કે મોટાભાગના શારીરિક રોગ ‘સાઇકોસોમેટિક’ એટલે કે માનસિક તણાવથી ઉદભવેલા હોય છે. અનેક સમસ્યાઓમાં કાઉન્સેલિંગ કરાયું કિસ્સો-1 વડીલ સાસુને માથાનો દુખાવો અને એસિડિટી રહેતા જેનું મુખ્ય કારણ પુત્રવધૂ સાથેનો વિખવાદ હતો. આ તકે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કિસ્સામાં સાસુ, પતિ, પુત્ર અને પુત્રવધૂ દરેકને અલગ-અલગ કાઉન્સેલિંગ કર્યું હતું. કિસ્સો-2 સતત બે વખત આપઘાતના પ્રયત્નો કરી ચૂકેલા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એકધારા અઠવાડિયામાં ત્રણ વખત પોઝિટિવ થેરાપી આપી અને એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા. આવા કિસ્સામાં આર્ટ ઓફ લિવિંગનો ખૂબ ધીરજપૂર્વક ઉપયોગ કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:01 am

સાહેબ મિટિંગમાં છે:ભાજપના નેતાપુત્રોએ ટિકિટ માગતા કાર્યકર્તાઓમાં પરિવારવાદનો મુદ્દો ચગ્યો, એક મહિલા IASના ટૂંકાગાળામાં ત્રણ- ત્રણ ઓર્ડર થયા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ નેતાપુત્રોને ટિકિટની વાત આવતા વિરોધનો સૂર ઉઠ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. દરેક વોર્ડમાંથી 50થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારે આંતરિક વિરોધ ચોક્કસ બહાર આવી શકે છે. કેટલાક વોર્ડમાં દાવેદારી નોંધાવનારા લોકોના વિરુદ્ધની વાતો પણ વહેતી કરવામાં આવી છે. અમદાવાદમાં એક જ પરિવારના લોકોને ટિકિટ આપવાથી લઈને પરિવારવાદ ન ચલાવવાની માંગ કાર્યકર્તાઓમાં ઉઠી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના પુત્ર અને તેમના સગા સંબંધીઓને ટિકિટ અપાવવા માટેનું લોબીંગ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં એક જ માંગ અને ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પરિવારવાદ ન હોવાની વાત કરે છે. પરંતુ ભાજપમાં જ નેતાઓ પોતાના પુત્રો અને સગા સંબંધીને ટિકિટ અપાવવા માટે દોડધામ કરી રહ્યા છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી શકે છે. ભાજપ કાર્યકર્તાઓ ટિકિટના લોબિંગ માટે કાર્યાલયના બદલે પ્રમુખના બંગલે પહોંચ્યા!અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં 192 બેઠક માટે દાવેદારી કરનારા દાવેદારો અને સાંભળવામાં આવ્યા હતા. 2300થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી બે દિવસમાં નોંધાવી હતી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખના બંગલે પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉમેદવારી માટે અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી હતી. શહેર પ્રમુખના બંગલે બીજા દિવસે સવારે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચી ગયા હતા બંગલે પ્રમુખને ટિકિટ માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને ખાનપુર કાર્યાલય ખાતે મળવાની જગ્યાએ બંગલા ઉપર મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી ગયા હતા. ઓવૈસીની સભા સમયે ભાજપના ખાનપુર કાર્યાલયમાં શાંત માહોલ દેખાયોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ પ્રચારની શરૂઆત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં AIMIM પાર્ટી દ્વારા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલયની બહાર જ જાહેરમાં સભા કરીને ભાજપ વિરુદ્ધ સંબોધન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને ભાજપના નેતાઓ વિશે બોલવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયની બહાર જ યોજાયેલી સભાને લઈ ભાજપ કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. કાર્યાલયમાં એક પણ ભાજપના નેતા ચૂંટણી હોવા છતાં સાંજે 07:00 વાગ્યા બાદ કોઈપણ ખાસ મોટા નેતા કે કાર્યકર્તા કાર્યાલય પર જોવા મળ્યા નહોતા. ચૂંટણી હોય ત્યારે અમદાવાદ જેવા સૌથી મોટા શહેરના ભાજપના કાર્યાલય ઉપર ઓવેસીની સભાના કારણે ખાલીખમ જોવા મળ્યું હતું ભાજપમાં ‘મૌન’નો આદેશ! ઉમેદવાર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોને મીડિયાથી દૂર રાખાયાસ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા વચ્ચે પાર્ટીમાં એક અલગ જ ‘મૌન રાજકારણ’ જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં નિરીક્ષકોની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ તેમને મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવાનું ઉપરથી કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, પાર્ટીને ભય છે કે કોઈ નેતા બોલતાં બોલતાં વિવાદ ઊભો ન કરી દે, તેથી માત્ર નિર્ધારિત પ્રવક્તાઓને જ બોલવાની છૂટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે પ્રશ્ન કંઈ પણ પૂછવામાં આવે, પરંતુ જવાબ હંમેશા પાર્ટી લાઇન મુજબ જ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળવાની વાત ફેલાતા રાજકોટ ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગીસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદ માટે પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ સમયે દરેક શહેર જિલ્લામાં કોને ટિકિટ મળશે કોની કપાશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભાજપમાં નવા સંગઠનની જાહેરાતથી અનેક જુના કાર્યકર્તાઓમાં નારાજગીના સુર સંભળાયા હતા. પરંતુ હવે સૌરાષ્ટ્રના પાટનગરમાં ઉમેદવારોની પસંદગીને લઇ પણ નારાજગી જોવા મળી રહી છે. ચર્ચા એવી છે કે કોંગ્રેસમાંથી આવેલા એક યુવા નેતાને ભાજપે ગત ટર્મમાં ટિકિટ તો આપી હતી પરંતુ હવે તેમને રિપીટ કરવાની વાતો થતા નારાજગી જોવા મળી રહી છે. સાથે તેઓ વિસ્તારના સ્થાનિક ન હોવા, મનપાના ભ્રષ્ટ TPOમાં ભાગીદાર હોવા અને આયાતી ઉમેદવાર હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. ભાજપના જ વિસ્તારના કાર્યકર્તા અને આગેવાનો પણ આ વાતથી નારાજગી દર્શાવી રહ્યા છે. જો કે કોંગ્રેસમાંથી આવેલા અને પહેલી જ ટર્મમાં વિવાદમાં સપડાયેલ આ યુવા નેતાને ટિકિટ મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. પ્રિલિમ, મેઈન્સ અને નેગેટિવ માર્કીંગ વગર ક્લાસ-2ની પરીક્ષા લેવાતા આશ્ચર્યસુરત મહાનગરપાલિકા (SMC)ની 2018ની Class-2 ભરતીની પરીક્ષા તાજેતરમાં લેવામાં આવેલ જે પરીક્ષા ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 2 કલાકનું 100 માર્ક્સનું પેપર ઉમેદવારો માત્ર 1 કલાકમાં જ પૂરૂં કર્યું હતું, સૌથી મોટો મુદ્દો એ છે કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નહોતું અને કોઈ ઇન્ટરવ્યૂ નથી. જેના કારણે ઉમેદવારોમાં “આટલી સરળ પરીક્ષા Class-2 માટે કેવી રીતે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે, ખાસ કરીને જ્યારે ગુજરાત સરકારની Class-3 ભરતીમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી કઠિન પ્રક્રિયા હોય છે, ત્યારે SMCની આ સીધી અને સરળ સિસ્ટમ ચર્ચાનો વિષય બની ગઈ છે, સાથે જ સુરતની ભરતી માટે પરીક્ષા સેન્ટર અમદાવાદ રાખવામાં આવવું પણ હવે ચર્ચાને વધુ બળ આપી રહ્યું છે. IAS હિતેષ કોયાએ વયનિવૃત્તિ પહેલા જ નોકરી છોડી,કારણ શું, એક સિનિયર IASનું ટોર્ચર ?2008ની બેચના પ્રમોટી IAS અધિકારી હીતેશ કે કોયાએ પોતાની વયનિવૃત્તિ પહેલાના આઠ મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા સચિવાલયમાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું છે તે જાહેર કરાયુ નથી. પરંતુ નિવૃત્તિના આઠ મહિના પહેલાં સરકારી નોકરીમાંથી દૂર થયા એ વાસ્તવિકતા છે. મૂળ જામનગરના વતની એવા આ પ્રમોટી IAS નવેમ્બર 2026માં નિવૃત્ત થવાના હતા. તેમણે છેલ્લે ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ચર્ચા એવી છે કે, સચિવાલયમાં જ ફરજ બજવતા એક માથાભારે અને માથાફરેલા IAS અધિકારી કોયા પર માનસિક ટોર્ચર કરી રહ્યા હતા. આ અંગે કોયાએ પોતાના કેટલાક નજીકના માણસો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આ ટોર્ચરમાંથી છૂટવા માટે તેમણે નોકરી જ છોડી દીધી છે.હવે આ માથાફરેલા અધિકારી કોણ છે તેની કાનાફૂસી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય પર વોચ રાખવા માટે પ્રથમવાર એક IAS અધિકારીની નિયુક્તિગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં IAS અધિકારીઓની નિયુક્તિ થતી હોય છે પરંતુ કેબિનેટના અન્ય કોઇ મંત્રીની કચેરીમાં IAS મુકાતા નથી. પરંતુ આ વખતે પહેલીવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે 2014ની બેચના IAS અધિકારી આશિષ કુમારની નિયુક્તિ કરાઈ છે. તેમની પાસે હાલ ટ્રાયબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટરનો એડિશનલ ચાર્જ યથાવત રહેશે. આ પહેલાં જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં IASની નિયુક્તિ થઇ નહોતી.જ્યારે રુપાણી સરકારમાં હોમ મિનિસ્ટર રહેલા પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં પણ કોઈ IAS અધિકારી નહોતા. ભુતકાળમાં ક્યારેય આવી નિયુક્તિ થઈ નથી. મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના વતની આશિષ કુમાર બી.ટેક થયેલા છે.ચર્ચા એવી છે કે, ગૃહમંત્રીની કાર્યપધ્ધતિ પર વોચ રાખવા માટે કેન્દ્રની સૂચનાથી તેમને અહીં મુકાયા છે.મહિલા IASને દિલ્હી મોકલવાના હોવા છતા ત્રણ ત્રણ ઓર્ડર થયાસરકારી તંત્રમાં કેટલીયે વાર લોલંલોલ ચાલતુ હોવાનુ બહાર આવતુ હોય છે. ગત અઠવાડીયે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર IAS મહિલા અધિકારી આરતી કંવરનો દિલ્હી ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર થયો છે. સરકારને ખબર જ હતી કે, તેમની અરજી પેન્ડીંગ છે અને ગમે ત્યારે દિલ્હી મોકલવા પડશે. આમછત્તા સરકારે તેમને જૂદી જૂદી જવાબદારી સોંપી હતી.સૌ પ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થોડી મોડી થતા કોર્પોરેશનોમાં વહીવટદોરની નિમણૂકો કરાઈ હતી. જેમાં કંવરને જામનગરમાં મુકાયા હતા. ત્યારબાદ તુરંત જ એટલે કે આ ઓર્ડરના બીજા દિવસે સરકારે તેમને એક જીલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી સોંપી દીધી હતી. આ બન્ને ઓર્ડર થયા બાદ દિલ્હીથી તેડુ આવતા ફરીથી સરકારે ત્રીજો ઓર્ડર કરીને તેમને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે.જો કે, આરતી કંવરની થોડા સમય પહેલા જ જીએસટી કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ હતી. બ્યુરોક્રેટ્સમાં આરતી કંવરના ગણતરીના દિવસોમાં જ ત્રણ ત્રણ ઓર્ડર થયા તેની ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છત્તા સરકારે કલેક્ટરો-ડીડીઓની બદલીઓ ના જ કરીવડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે એ નક્કી હતુ. સરકારને આ બાબતની જાણકારી પણ હતી જ.આમછત્તા કલેકટરો અને ડીડીઓની બદલીઓના ઓર્ડર કર્યા નહોતા. છેલ્લા એક મહિનાથી સચિવાલયમાં ચર્ચા હતી કે, વિધાનસભાનુ બજેટ સત્ર પૂરુ થયા બાદ અને ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા જ સામૂહિક બદલીઓના ઓર્ડર થશે. કેટલાક કલેક્ટરોએ તો મહત્વના કામો કરવાનુ પણ છોડી દીધુ હતુ. નવા પ્રોજેક્ટ કે કામગીરી શરુ કરી નહોતી. બેથી અઢી વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા કલેક્ટરો-ડીડીઓ પોતાની બદલીની રાહ જોતા હતા પણ ચૂંટણી જાહેર થયા છત્તા બદલી થઈ નથી.હવે ફરીથી દોઢ મહીનો જેટલી રાહ જોવી પડશે. જો કે, ચૂંટણી પંચ અમુક કલેક્ટર કે ડીડીઓની બદલી કરે તો નવાઈ નથી. સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરાતા ભાજપના દાવેદારો નારાજસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નિરીક્ષકો શહેર અને જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં એક જગ્યા પર મોકલવામાં આવેલા નિરીક્ષકોને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે, આવા નેતાઓ કોઈપણ પ્રકારની સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરી રહ્યા છે. ખૂબ જ વિવાદ આસપાસ ગણાતા એવા વોર્ડની સેન્સ લેવા આવેલા નિરીક્ષકોમાં રોષ જોવા મળતા આગામી દિવસોમાં આ વોર્ડમાં ઉમેદવારો જાહેર કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ અને તેમની વ્યથા ચોક્કસથી બહાર આવે તેવી ચર્ચા છે. ભાજપની સોશિયલ મીડિયા પર નબળી કામગીરીની કેન્દ્રીય નેતાઓએ નોંધ લીધીગુજરાત ભાજપના સંગઠનમાં પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા ઉપર સક્રિય ન હોવા અંગેની નોંધ કેન્દ્રીય નેતાઓએ પણ લીધી છે. ભાજપનું સોશિયલ મીડિયા નબળું છે ત્યારે ભાજપ મીડિયામાં વિભાગમાં શહેર અને જિલ્લામાં નેતાઓની નિમણૂક કરવામાં આવી છે જે નિષ્ક્રિય કામગીરી કરી રહ્યા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય તેની માહિતી પણ હવે મીડિયા સુધી પહોંચાડવામાં ભાજપના જ નેતાઓને રસ ન હોય એવી નીતિ અપનાવવામાં આવી હોય તેમ માત્ર શહેર અને જિલ્લાઓમાં મીડિયા વિભાગમાં નામો જાહેર કરી દીધા છે. પરંતુ કોઈ પણ પ્રકારની સક્રિયતા જોવા મળી રહી નથી જેને લઈને ચર્ચા જાગી છે કે માત્ર હોદ્દાઓ મેળવવામાં રસ છે. મીડિયામાં માહિતી આપ લે કરવામાં મીડિયા વિભાગના હોદ્દેદારો નેતાઓ નિષ્ફળ ગયા છે. અમદાવાદ પશ્ચિમના એક વોર્ડમાં ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીને નડી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ કરવામાં આવી છે તેની વચ્ચે અનામત રોટેશનમાં કેટલીક જગ્યાએ અનુસૂચિત જાતિ અને ઓબીસી ઉમેદવાર નક્કી કરવાના છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપનો આંતરિક વિખવાદ ખૂબ જ સપાટી ઉપર આવી ગયો છે. વોર્ડ પ્રમુખ દ્વારા જેની સામે છેતરપિંડીનો કેસ થયો છે એવા એક વ્યક્તિને બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં થઈ રહી છે. ભાજપના આંતરિક વિખવાદો ખૂબ જ સપાટી ઉપર છે અનુસૂચિત જાતિના એક મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી તેમાં ફોટો એડિટિંગ કરવામાં આવ્યું હતું. તેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના આ વોર્ડમાં કોંગ્રેસ મજબૂત છે ત્યારે આ વિસ્તારમાં ભાજપનો આંતરિક વિખવાદ કોંગ્રેસને ખૂબ જ ફાયદો કરાવી શકે તેમ છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના સ્થળને લઈ કાર્યકર્તાઓમાં ચર્ચાસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. પરંતુ કેટલાક વોર્ડમાં ભાજપના નેતાઓની યોગ્ય કામગીરી ન હોવાના કારણે થઈને ભાજપ આ બેઠકો જીતી શકે તેમ નથી. શહેરના વિસ્તારમાં એક વોર્ડ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પરંતુ જે વિસ્તારમાં ભાજપના મતદારો છે એવા જ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓમાં એક એવી ચર્ચા જાગી રહી છે કે જ્યાં ખરેખર કોંગ્રેસના મતદારો છે તેવા વિસ્તારમાં ભાજપનું કાર્યાલય હોવું જોઈએ એના કારણે થઈને લોકો ભાજપની સાથે જોડાઈ શકે. પરંતુ ભાજપના નેતાઓએ કાર્યાલય પોશ વિસ્તારમાં ખોલ્યું છે. જેના કારણે થઈને જે કોંગ્રેસના મતવિસ્તારના ઉમેદવારો છે તે ભાજપ સાથે જોડાઈ શકશે નહીં અને ભાજપને તેમાં કોઈ ફાયદો થઈ શકે તેમ નથી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

વડોદમાં 5000 લોકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર:નંદઘર અને ક્લિનિક પાસે ડ્રેનેજની ગંદકી, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું; સ્થાનિકોએ કહ્યું, પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું

સુરત મનપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સુરતના વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસની હાલત અત્યંત દયનીય છે. અહીં લગભગ 1500 મકાનોમાં વસતા 5000થી વધુ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. આવાસની દરેક ગલીઓમાં કચરાના ઢગલા અને ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોનો શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. જયારે નંદઘર અને ક્લિનિક પાસે પણ ડ્રેનેજની ગંદકી જોવા મળી હતી. સ્થાનિકોએ કહ્યું, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું અને પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું ચીમકી ઉચ્ચારી છે. નંદઘર અને ક્લિનિક પાસે જ ગંદકીના ઢગલાસ્થાનિકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે જ્યાં સરકારી સુવિધાઓ હોવી જોઈએ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય છે. વડોદ આવાસમાં આવેલા નંદઘર કમ્યુનિટી હોલ અને સરકારી ક્લિનિકની બિલકુલ બાજુમાં કચરાના મોટા પહાડો ખડકાયા છે. લોકો અહીં સુવિધા માટે આવે છે પરંતુ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ક્લિનિકમાં આવતા દર્દીઓ અને બાળકો આ ગંદકીના કારણે વધુ બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ કચરો દૂર કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. ગંદકીના કારણે બાળકોમાં બીમારીનું જોખમ વધ્યુંઆવાસની ગલીઓમાં વહેતા ગટરના પાણી અને કચરામાં જ માસૂમ બાળકો રમવા માટે મજબૂર છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો સતત મંડરાતો રહે છે. ગરીબ પરિવારો જે રોજનું કમાઈને રોજ ખાય છે, તેઓ કમાણી છોડીને બાળકોની સારવાર માટે દોડધામ કરે કે પેટ ભરે? તે મોટો સવાલ છે. 'વોટ માંગવાનો સમય આવે ત્યારે નેતાઓ હાથ જોડીને આવે છે'સ્થાનિક રહીશ મમતાબેને જણાવ્યું કે, તેમની દુકાન અને ઘરની આસપાસ એટલી ગંદકી છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. બાળકો આ ગંદકી વચ્ચે મોટા થઈ રહ્યા છે. જ્યારે વોટ માંગવાનો સમય આવે ત્યારે જ નેતાઓ હાથ જોડીને આવે છે અને મોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે. 5 વર્ષમાં એકવાર પણ કોઈ નેતાએ અહીં આવીને એવું નથી પૂછ્યું કે તમે કઈ હાલતમાં જીવો છો. 'ટેક્સ ભરાવશે, પણ કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી'સ્થાનિક દુકાનદાર અશોક ભાઈએ જણાવ્યું કે, પૈસા લેવા આવશે, ટેક્સ ભરાવશે, ઘરવેરો ભરાવશે, પણ અહીંયા કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી. એસએમસી (SMC)ની સાઉથ ઝોનની ઓફિસ અહીંયા જ છે, એ લોકો પણ જોઈ રહ્યા છે કે પાણી રસ્તા પર વહી રહ્યું છે, છતાં કોઈ વ્યવસ્થા નથી થતી. નેતાઓ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વોટ માંગવા આવે છે, પછી દેખાતા જ નથી. 'પીવાનું પાણી ગંદુ આવે અને વાસ મારે છે'સ્થાનિક કોકિલાબેને જણાવ્યું હતું કે, અહીં પાણી સવારે ગંદુ આવે અને વાસ મારે છે. કચરાવાળા પણ આવે તો ઢગલો કરીને ચાલ્યા જાય, પછી એને લઈ નથી જતા. અમને તો એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે કે કયા સાહેબ છે, અમે તો જૂના ઘરે જઈને વોટ આપી આવીએ છીએ પણ અહીં કોઈ નેતા જોવા આવતું નથી. 'બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે'સ્થાનિક કલાબેને જણાવ્યું હતું કે, કોઈ નેતા નથી આવતું, ખાલી વોટિંગ જોઈતું હોય ત્યારે જ આવી જાય છે. આ બધી બિલ્ડિંગોની સફાઈ કરવા કોઈ નથી આવતું, અમારે જાતે જ બધું કરવાનું હોય છે. નેતાઓ નથી આવતા, બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે એટલે અમે વોટ દઈ આવીએ છીએ. આઠ-આઠ વર્ષથી જનતા પરેશાન, કોઈ ઉકેલ નહીંવડોદ આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે નરક જેવી સ્થિતિમાં રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર કામચલાઉ સફાઈ થાય છે. ગટરની લાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. આ ગંદકીમાં જીવવું એ હવે અહીંના લોકોની મજબૂરી બની ગઈ છે. પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ બંને આ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

નવા રોટેશનથી રાજકીય ગણિતોમાં ધરખમ ફેરફારો:હવે બાહુબલીઓ તેમજ આર્થિક સંપન્ન ઉમેદવારોનો દબદબો વધવાની શક્યતા, અનેક દિગ્ગજોનાં પત્તા કપાશે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. આગામી 26 એપ્રિલનાં રોજ મતદાન થવાનું છે. જે અંતર્ગત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેના અમુક ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવાયા છે, જ્યારે ભાજપ દ્વારા પણ એકાદ બે દિવસમાં નામો જ જાહેર કરવામાં આવનાર છે. આ વર્ષની ચૂંટણી અગાઉના વર્ષો કરતા તદ્દન અલગ સાબિત થવાની છે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બેઠકોના રોટેશનમાં કરવામાં આવેલા મોટા ફેરફારે રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ નવા ફેરફારોને કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે અને આગામી ટર્મમાં મહાપાલિકામાં બાહુબલી તથા આર્થિક રીતે અત્યંત સંપન્ન ઉમેદવારોનું જોર વધવાની શક્યતા છે. બેઠકોના રોટેશનનું જટિલ માળખું અને તેની અસરોરાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકો માટે વર્ષ 2020માં યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે જે રોટેશન અમલમાં હતું, તેમાં 2026ની આ ચૂંટણી માટે મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. શહેરના 18 વોર્ડમાંથી માત્ર વોર્ડ નં. 3, 4, 13 અને 17 એમ કુલ ચાર વોર્ડ જ એવા છે કે જેમાં બેઠકોના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાકીના 14 વોર્ડની 56 બેઠકોમાં વ્યાપક ફેરફાર થયો છે. ખાસ કરીને 13 જેટલી સામાન્ય બેઠકો રદ કરીને તેને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત રાખવામાં આવી છે. વર્ષોથી પકડ જમાવીને બેઠેલાને ઘરભેગા થવાનો વારો આવી શકેઆ ફેરફારને કારણે જે વોર્ડમાં સવર્ણ જ્ઞાતિઓની વસતી વધુ છે, ત્યાં પણ હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે જગ્યા ઘટી ગઈ છે. આનાથી એવા રાજકીય ‘ધૂરંધરો’ કે જેઓ વર્ષોથી પોતાની બેઠક પર પકડ જમાવીને બેઠા હતા, તેમને હવે ઘરભેગા થવાનો વારો આવી શકે છે. નિરીક્ષકો માને છે કે જ્યારે બેઠકો અનામત બને છે, ત્યારે રાજકીય પક્ષો એવા ઉમેદવારોને પ્રાધાન્ય આપે છે જેઓ સ્થાનિક સ્તરે પ્રભુત્વ ધરાવતા હોય, બાહુબલી હોય અથવા ચૂંટણીના તોતિંગ ખર્ચને પહોંચી વળવા આર્થિક રીતે સક્ષમ હોય. આના કારણે અનુભવી રાજકારણીઓને બદલે નવા સાધન-સંપન્ન ચહેરાઓ મહાનગરપાલિકામાં જોવા મળી શકે છે. જ્ઞાતિવાર ટિકિટની સંભાવના અને રાજકીય વિશ્લેષણરાજકોટના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા એક મહત્વનું પરિબળ રહ્યું છે. નવા રોટેશન બાદ વિવિધ સમાજોનું પ્રતિનિધિત્વ કેવું રહેશે તેના પર રાજકીય નિરીક્ષકોએ ઊંડું ગણિત માંડ્યું છે. 72 બેઠકોના સંભવિત વિતરણ પર નજર કરીએ તો... મહિલા અનામતની વાત કરીએ તો, કુલ 72 બેઠકોમાંથી 50% એટલે કે 36 બેઠકો મહિલાઓ માટે અનામત છે, પરંતુ અન્ય કેટેગરીના જોડાણને જોતા કુલ 41 બેઠકો મહિલાઓ માટે અને બાકીની 31 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિની 5 બેઠકમાંથી 3, અનુસૂચિત આદિજાતિની 1 અને પછાત વર્ગની 7 બેઠકોમાંથી 4 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. વોર્ડવાર બદલાયેલા સમીકરણોની વિગતવાર વિગત⇒ વોર્ડ નં. 1: અહીં ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં વ્હાઇટ કોલર મતદારોની સંખ્યા વધી છે. અગાઉ અહીં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ માટે હતી, જે હવે પછાત જ્ઞાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ વોર્ડમાં પછાત જ્ઞાતિના 4000થી વધુ મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. ⇒ વોર્ડ નં. 2, 5, 6: વોર્ડ 2માં પહેલી બેઠક સામાન્યમાંથી અનુસૂચિત જાતિની થઈ છે. વોર્ડ 5માં ત્રીજી બેઠક હવે પછાત વર્ગ માટે છે. વોર્ડ 6માં પણ બે મોટા ફેરફારો થયા છે, જ્યાં પહેલી બેઠક અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત જ્ઞાતિના ઉમેદવારને ફાળવાઈ છે. ⇒ વોર્ડ નં. 7, 8, 9: વોર્ડ 7માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક અનુસૂચિત જાતિને મળી છે. વોર્ડ 8માં ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત છે. વોર્ડ 9માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે જાહેર કરાઈ છે. ⇒ વોર્ડ નં. 10થી 12: વોર્ડ 10માં એક બેઠક પછાત વર્ગમાંથી સામાન્ય થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક પછાત વર્ગને ફાળવવામાં આવી છે. વોર્ડ 11માં ત્રીજી બેઠક હવે પછાત જ્ઞાતિના ફાળે ગઈ છે. વોર્ડ 12માં પહેલી બેઠક પછાતમાંથી સામાન્ય ઉમેદવાર માટે ખુલ્લી મુકાઈ છે. ⇒ વોર્ડ નં. 14થી 18: વોર્ડ 14 અને 15માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે. વોર્ડ 16માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. વોર્ડ 18માં પણ સમાન રીતે પ્રથમ બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત ઉમેદવાર માટે રાખવામાં આવી છે. મતદારોની સંખ્યામાં ઘટાડો, એક નવો વળાંકરાજકોટમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર સુધારણા કાર્યક્રમ (SIR)ના પરિણામો ચોંકાવનારા છે. 2020ની ચૂંટણીની સરખામણીએ રાજકોટમાં મતદારોની કુલ સંખ્યામાં 1,08,039નો ઘટાડો થયો છે. આ ઘટાડો ખાસ કરીને એવા વિસ્તારોમાં જોવા મળ્યો છે, જ્યાંથી લોકોનું સ્થળાંતર વધ્યું છે. મતદારોની સંખ્યામાં થયેલો આ ફેરફાર સીધી રીતે ઉમેદવારોની જીત-હારના માર્જિન પર અસર કરશે. ઓછા મતદારો હોવાને કારણે હવે દરેક મતની કિંમત વધી ગઈ છે, જેનાથી ચૂંટણી પ્રચાર વધુ આક્રમક બનવાની શક્યતા છે. બાહુબલીઓ અને સંપન્ન ઉમેદવારોનું વર્ચસ્વ કેમ વધશે?રાજકીય નિરીક્ષકોનું વિશ્લેષણ છે કે, જ્યારે બેઠકો વારંવાર બદલાય છે અને નવા વિસ્તારો અનામત હેઠળ આવે છે, ત્યારે પ્રસ્થાપિત નેતાઓ પોતાની જૂની બેઠક ગુમાવે છે. પક્ષો માટે પણ નવા અનામત વોર્ડમાં મજબૂત ઉમેદવાર શોધવો મુશ્કેલ બને છે. આવા સમયે, પક્ષો એવા સ્થાનિક આગેવાનોને પસંદ કરે છે, જેમની પાસે 'પૈસા અને પાવર' બંને હોય. આર્થિક રીતે સક્ષમ ઉમેદવારો ચૂંટણીના ખર્ચને પહોંચી વળવા સક્ષમ હોય છે, જ્યારે બાહુબલી ઉમેદવારો પોતાની સ્થાનિક વગ અને ડરના જોરે મતો અંકે કરી શકે છે. આ કારણે જ આગામી ટર્મમાં મહાનગરપાલિકામાં જે બોર્ડ બનશે, તેમાં શિક્ષિત કે અનુભવી લોકો કરતા 'પાવરફુલ' લોકોની સંખ્યા વધુ રહે તેવી ભીતિ અને સંભાવના બંને સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ-AAPનો નવા રોટેશનનો લાભ ઉઠાવી ગાબડું પાડવાનો પ્રયાસઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પરંતુ બદલાયેલા રોટેશન અને જ્ઞાતિવાદના નવા સમીકરણો વચ્ચે ટકી રહેવાની લડાઈ છે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નવા રોટેશનનો લાભ ઉઠાવીને ગાબડું પાડવા પ્રયાસ કરશે. અનામત પ્રથા, મહિલા પ્રતિનિધિત્વ અને ઘટતા મતદારો વચ્ચે શહેરના રાજકારણનું આ 'ગણિત' આવનારા દિવસોમાં વધુ રસપ્રદ બનશે. અંતે, જે ઉમેદવાર બાહુબળ, આર્થિક સંપન્નતા અને જ્ઞાતિના સમીકરણોને યોગ્ય રીતે સંતુલિત કરી શકશે, તે જ રાજકોટના શાસકો બનશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

'ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણીમાં નેતા દેખાય':'ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં'ના બેનર લગાવવાની ચીમકી, કરોડોના બંગલાના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ; વીજળીના ધાંધિયા હોવાનો વોર્ડ 1ના સ્થાનિકોનો આક્ષેપ

આગામી 26 એપ્રિલના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે.ત્યારે શહેરના વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી.જેમાં રૈયાધાર વિસ્તાર જે ગામડા જેવો હોવાનું અને ત્યાં સફાઈ સહિતનાં પ્રશ્ને લોકોમાં રોષની લાગણી હોવાનું જોવા મળ્યું હતું.એટલું જ નહીં પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીન સિટી પાછળ કે જ્યાં કરોડોના બંગલા અને ફ્લેટ ત્યાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું. સ્થાનિક રાહુલ મોભેરાએ જણાવ્યું હતું કે ચોમાસામાં દેડકા દેખાય,એમ ચૂંટણી આવે ત્યારે નેતાઓ દેખાય છે. જ્યારે શહેરમાં નવા ભળેલા ઘંટેશ્વર વિસ્તારના કલ્યાણ પાર્કના સ્થાનિકોએ તો મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે સબ સલામતના દાવા અને વિકાસ કાર્યો ગણાવ્યા. જ્યારે કોંગ્રેસના આગેવાને કહ્યું કે લોકો આ સરકારથી ત્રાહિમામ છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વિકાસ માત્ર કાગળ પર:શૈલેષ મોભેરારૈયાધાર વિસ્તારમાં રહેતા AAPના 69 ઝોનના સહ પ્રભારી શૈલેષ મોભેરાએ જણાવ્યું કે, ગયા 25 વર્ષથી રૈયાધારનો થોડો થોડો વિકાસ થતો આવે છે,પણ વિકાસ માત્ર કાગળ પર જ છે.વિકાસ માટે આવતું ફંડ ખાઈ જવામાં આવે છે.હાલની સ્થિતિએ રોડ પર બનાવેલા બમ્પમાં દર મહિને સફેદ પટ્ટા મારવામાં આવે છે,જે લાંબો સમય રહેતા નથી. ગટરના ઢાંકણા અઠવાડિયામાં 3-3 વાર તૂટી જાય છે.આ અંગેનો વિડીયો પણ વાયરલ કર્યો હોવા છતાં આમાં કોઈને રસ નથી, અને આ જ કારણથી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે. 'લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે'શૈલેષ મોભેરાએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નં 1માં ચાર પૂર્વ કોર્પોરેટર, જેમાં હિરેન ખીમાણીયા,ડો. અલ્પેશ મોરજરિયા,દુર્ગાબા જાડેજા અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે.ભાનુબેન બાબરીયા છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર છે,છતાં પણ એકવાર પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.આ ઉપરાંત અન્ય ત્રણ કોર્પોરેટર પણ પોતાના વિસ્તાર સિવાય ક્યાંય જોવા મળતા નથી.વિરોધ પક્ષ તરીકે જનતા ભાજપથી ડરે છે,પણ અંદરખાને તેમનો ફૂલ વિરોધ છે.લોકો ભાજપ સામે બોલતા ગભરાય છે,કારણ કે તેને જેલમાં પૂરી દેવામાં આવશે કે ખોટા કેસો કરી દબાવવામાં આવશે તેવો ડર છે.આ જ કારણથી જનતા બહાર આવીને વિરોધ કરી શકતી નથી. ચોમાસા સમયે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાદિવ્યભાસ્કરની ટીમ જ્યારે રૈયાધાર વિસ્તારમાં પહોંચી ત્યારે અહીં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય તેવો જ માહોલ જોવા મળ્યો હતો.જોકે રોડ-રસ્તા સારા હતા પણ આ વિસ્તારમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો છે.સ્થાનિકોનાં જણાવ્યા મુજબ અહીં વારંવાર વીજળીની પણ સમસ્યા છે,ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા પણ આ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી સહન કરી રહ્યા છે.આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.સાથે જ તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવા માટે માંગ કરી હતી. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે:ભરત ચૌહાણભરત ચૌહાણ નામના સ્થાનિકે દિવ્યભાસ્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી કે, અમારા વિસ્તારમાં છેલ્લા એક-બે વર્ષથી વીજળી અંગે મુખ્ય સમસ્યા છે.દિવસમાં બેથી ત્રણ વખત વીજળી ગુલ થઈ જાય છે અને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે 'ટ્રીપ થઈ ગયું છે' અથવા 'કનેક્શન પ્રોબ્લેમ છે'જેવા કારણો આપવામાં આવે છે.ખાસ કરીને ગયા અઠવાડિયે શનિ-રવિમાં પણ સવારે 6 વાગ્યાથી લાઈટ જતી રહી હતી,જે કલાક પછી આવીને ફરી 8 વાગ્યે જતી રહી હતી. 'કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા જ નથી'અમારા વિસ્તારથી માત્ર 100-200 મીટર દૂર પોશ વિસ્તારમાં ક્યારેય લાઈટ જતી નથી અને જો જાય તો પણ એક કલાકમાં આવી જાય છે.આ બાબતે અમે પટેલ સાહેબને લેખિતમાં અરજી પણ આપી હતી,જેના કારણે બે મહિના સુધી સ્થિતિ સુધરી હતી પરંતુ હવે ફરી એ જ સમસ્યા ઊભી થઈ છે.મોબાઈલ ચાર્જિંગ, ટેલિવિઝન અને પંખા જેવી પાયાની જરૂરિયાતો વીજળી વગર પ્રભાવિત થાય છે.જોકે રોડ-રસ્તા અને સફાઈની કામગીરી ઠીક છે,પરંતુ અમારા વિસ્તારના કોર્પોરેટરો તો ક્યારેય મુલાકાતે આવ્યા નથી. ચૂંટણી સમયે કદાચ દેખાયા હશે, પરંતુ હાલ અમને તેમના નામની પણ જાણ નથી. 'બગીચો કે આરોગ્ય કેન્દ્ર માટે રજૂઆત કરી હતી'રૈયાધાર વિસ્તારમાં વર્ષોથી રહેતા લાલદાસ નામના નાગરિકે જણાવ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી વોર્ડ નં 1ના રૈયાધાર વિસ્તારમાં રહે છે.અહીં કાયમી ધોરણે ગંદકી અને કચરાની ગંભીર સમસ્યા છે.લોકો ગમે ત્યાં કચરો ફેંકી જાય છે,જેના કારણે કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે,ત્યારબાદ કોઈ ડોકાતું નથી.અહીં બગીચો કે આરોગ્ય કેન્દ્ર જેવી પાયાની સુવિધાઓ આપવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે,પરંતુ તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. 'કચરાના ઢગલાઓ ઘરની સામે પડ્યા રહે છે'રાહુલ મોભેરા નામના સ્થાનિકે જણાવ્યું કે, અહીં મુખ્ય સમસ્યા એ છે કે મારા ઘરની સામે કચરાના ઢગલા પડ્યા રહે છે.હમણાં માવઠું થયું ત્યારે પાણી ભરાયું હતું અને મચ્છરનો ખૂબ ત્રાસ છે.આ બાબતે મેં અરજી પણ કરી છે,પરંતુ કોઈ ધ્યાન આપતું નથી.આ ઉપરાંત,મેં 2025માં સ્ટ્રીટ લાઈટના થાંભલા માટે પણ અરજી કરી હતી,છતાં હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી,માત્ર સર્વે કરીને જતા રહે છે. આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે,ઘણીવાર ડહોળું પાણી આવે છે.આ બધી રોજિંદી સમસ્યાઓ છે. જેનો અમારે સામનો કરવો પડે છે.સ્થાનિક કોર્પોરેટરો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે,અહીંની 90 ટકા જનતા ચારેય કોર્પોરેટરોને ઓળખતી પણ નહીં હોય.કારણ કે તેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે,જેમ ચોમાસામાં કેમ દેડકા દેખાય એમ! ચૂંટણી સમયે બધાય દેખાશે. મત માંગવા આવશે,બાકી આ સિવાય કોઈપણ અહીં ડોકાતું નથી. 'કોર્પોરેટર કોણ છે એમની જાણ નથી અમને'રૈયાધાર વિસ્તારના મંજુબેને જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા 20થી 22 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. સ્થાનિક કોર્પોરેટર કોણ છે તેની પણ તેમને જાણ નથી,કારણ કે તેઓ ક્યારેય વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.ચૂંટણી સમયે મત માંગવા આવતા પ્રતિનિધિઓ જીત્યા પછી ડોકાતા પણ નથી.આ તમામ સમસ્યાઓ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે,પરંતુ હજુ સુધી કોઈપણ જવાબ મળ્યો નથી કે કોઈ અધિકારી તપાસ કરવા પણ આવ્યા નથી. 'નેતાઓ પ્રજાની તકલીફો જાણવા આવતા નથી'રૈયાધાર વિસ્તારનાં વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં વેપારી અજયભાઈએ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છું. અહીં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ગંભીર છે.છેલ્લા 2થી 3 વર્ષથી આવી જ પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક 4 કોર્પોરેટરોમાંથી કોઈ અહીં ડોકાતું પણ નથી.નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મત લેવા આવે છે અને ત્યારબાદ કોઈ કામગીરી થતી નથી.શાસક પક્ષ ભાજપનું શાસન હોવા છતાં કોઈ નેતા પ્રજાની તકલીફો જાણવા આવતા નથી તેવી વેદના પણ તેમણે વ્યક્ત કરી હતી. કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વેપારીઓમાં રોષઆ વિસ્તારમાં છેલ્લા 14થી 15 વર્ષથી વેપાર કરતા પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કચરાના નિકાલની છે,જેના કારણે અન્ય ઘણી નાની-મોટી તકલીફો ઊભી થાય છે.સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે,જે રીતે પત્રકારો રૂબરૂ આવીને પ્રશ્નો પૂછે છે તે રીતે કોઈ જનપ્રતિનિધિ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી.તંત્ર દ્વારા આ વિસ્તારમાં વ્યવસ્થિત સાફ-સફાઈ કરવામાં આવે અને લોકહિતના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓની મુખ્ય માંગ છે. અહીં દુકાન ધરાવતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે,તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં વેપાર કરી રહ્યા છે પીવાના પાણીની પણ સમસ્યા અને રોડ-રસ્તાનું કામ પણ હજુ અડધું બાકી છે. સાફ-સફાઈ માટે સફાઈ કામદારો આવે છે પરંતુ કચરો ઉપાડવામાં આવતો નથી.અહીંના કોર્પોરેટર કોણ છે તેની તેમને જાણ નથી અને ચૂંટણી સમયે મત માંગવા સિવાય કોઈ દેખાતું નથી. પોશ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવરૈયાધાર બાદ દિવ્યભાસ્કરની ટીમ પોશ વિસ્તાર ગણાતા આલાપ ગ્રીનસિટી પહોંચી હતી.જ્યાં અનેક સોસાયટીમાં રોડ-રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ સફાઈ પણ નિયમિત નહીં થતી હોવાનો આક્રોશ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે,તેઓ ભાજપને મત આપે છે,વેરાઓ પણ ભરે છે.આમ છતાં વર્ષોથી તેમના પ્રશ્નો હલ થતા નથી.ચૂંટણી જીત્યા બાદ નગરસેવકો ડોકાયા નહીં હોવાનું જણાવી આયાતીના બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ પણ લોકોએ કરી હતી. સ્થાનિકને ટિકિટ આપવામાં આને:પુષ્પાબેન યાજ્ઞિકશાંતિનિકેતનમાં રહેતા પુષ્પાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે.અહીં પરિવહન માટે બસની સુવિધાનો અભાવ હોવાથી લોકોને દરેક સ્થળે ચાલીને જવું પડે છે.ચૂંટણી સમયે નેતાઓ મીટિંગો યોજે છે,પરંતુ જીત્યા પછી 5 વર્ષ સુધી કોઈ ડોકાતું નથી.જેના કારણે સોસાયટીમાં વિકાસના કામો થતા નથી.હાલમાં સોસાયટીના સભ્યો અને મહિલા મંડળ દ્વારા જ જરૂરી કામગીરી કરવામાં આવે છે.તંત્ર તરફથી કોઈ સહાય મળતી નથી.આથી તેઓ માંગ કરી રહ્યા છે કે જો આ વિસ્તારના જ કોઈ સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે,તો જ અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે. બંસી પાર્ક વિસ્તારમાં રહેતા નેહાબેને જણાવ્યું હતું કે, અહીં ગટરની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ રહે છે,જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ નેતાઓ મતો માંગવા આવે છે,પરંતુ જીત્યા પછી કોઈ પ્રશ્નો ઉકેલવા આવતું નથી.તેમણે પણ માંગ કરી છે કે જો આગામી ચૂંટણીમાં કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જ આ વિસ્તારનો વિકાસ શક્ય છે. સ્થાનિક નિશાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં કાદવ-કીચડને કારણે વાહનો સ્લિપ થવાના બનાવો બને છે અને સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. 'પ્રચાર માટે કોઈએ આવવું નહીં તેવા બોર્ડ લગાવવાનો નિર્ણય'કલ્યાણ પાર્ક વિસ્તારના ગીતાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે,અહીં નાના બાળકો માટે કોઈ આંગણવાડી જેવી સુવિધા નથી.વિસ્તારમાં સાફ-સફાઈના અભાવે મચ્છરોનો ભારે ત્રાસ છે અને પાણી ભરાવાની સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી.આ વિસ્તારમાં પોતાના બોર્ડ લગાવનારા સ્થાનિક કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે લોકોની સમસ્યાઓ સાંભળી નથી.આથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ વખતે ચૂંટણીમાં મતદાન ન કરવાનો અને ચૂંટણી પ્રચાર માટે કોઈને આવવા નહીં દેવા માટેના બોર્ડ મારવાનો નિર્ણય લીધો છે. મધુબેન પરમારે જણાવ્યું હતું કે, હાલમાં ગટરનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે પણ તે અધૂરું મૂકી દેવામાં આવ્યું છે.પાણી ભરાવાની સમસ્યા હલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અમારી માંગ છે. પાર્વતીબેન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને બોરના પાણી પણ દૂષિત આવે છે. છેલ્લા 5 વર્ષથી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે,પરંતુ મનપાનાં કર્મચારીઓ માત્ર મુલાકાત લઈને આશ્વાસન આપી જાય છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી.ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની વાતો વચ્ચે પણ જમીન પર કોઈ સુધારો દેખાતો નથી. 'અધિકારીઓ માત્ર આશ્વાસન આપે'પ્રફુલભાઈ જોષીએ વિસ્તારની કથળતી જતી હાલત અંગે રોષ ઠાલવ્યો હતો.તેમના જણાવ્યા અનુસાર,છેલ્લા 5-6 વર્ષથી આ વિસ્તારમાં સમસ્યાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 5 વર્ષ પહેલા મેટલિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં અને ડામર રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.બંસી પાર્ક વિસ્તારમાં 50% થી વધુ બિલ્ડિંગો બની ગઈ હોવા છતાં, અહીં સફાઈ કર્મચારીઓ કે ડ્રેનેજની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક કોર્પોરેટર ખીમાણીયાભાઈ અને અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે.ફોન કરવા પર કોઈ જવાબ મળતો નથી અને ઓફિસે જઈએ તો પણ મુલાકાત શક્ય બનતી નથી.ત્યારે વહેલી તકે ડ્રેનેજ લાઈન અને ડામર રોડની સુવિધા પૂરી પાડવામાં આવે જેથી આટલા વર્ષોથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવે. મનપામાં નવા ભળેલા વિસ્તારોના લોકોને હાલાકીજે બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ઘંટેશ્વર નજીક પહોંચી હતી. જ્યાં પણ કલ્યાણ પાર્ક સહિતનાં નવા ભળેલા વિસ્તારોનાં લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે 'કોઈ નેતાએ પ્રચારમાં આવવું નહીં'તેવા બેનરો લગાવવાની તૈયારી દર્શાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના સબ સલામતના દાવાભાજપના પૂર્વ કોર્પોરેટર અલ્પેશ મોરજરીયાએ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યોની વિગતો આપી હતી. વોર્ડમાં તમામ રોડ-રસ્તાઓનું રિ-કાર્પેટિંગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની અલ્પેશ મોરજરીયાએ વાત કરી હતી. જ્યારે મધ્યમ વર્ગના પરિવારોને સામાજિક પ્રસંગોમાં સુવિધા મળી રહે તે માટે સંતોષ પાર્ક વિસ્તારમાં એક અદ્યતન હોલ બનાવીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂરઆ ઉપરાંત અગાઉની નાની વોર્ડ ઓફિસને કારણે લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે નવી વોર્ડ ઓફિસનું કામ પણ મંજૂર કરાવ્યું છે જે ટૂંક સમયમાં શરૂ થશે.ગાંધીગ્રામ જેવા જૂના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ માટે 3 મુખ્ય જગ્યાઓ પર સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે. જેના કારણે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યામાં મોટો ઘટાડો થયો છે.ગાંધીગ્રામમાં જૂના નેટવર્કને કારણે આવતા ગંદા પાણીની ફરિયાદના ઉકેલ માટે ચારેય કોર્પોરેટરોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારમાં નવી DI પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરાયું છે અને આ પ્રોજેક્ટનું કામ 1થી 2 મહિનામાં શરૂ કરવામાં આવશે. વધુમાં અલ્પેશ મોરજરીયાએ નવા ભળેલા વિસ્તારો વિશે જણાવ્યું હતું કે લોકોને આપેલા વચન મુજબ આ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં સફળતા મળી છે. રોડ રસ્તાના કામો અંગે તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારોમાં મેટલ રોડ પાસ થઈ ગયા છે અને નાગેશ્વર વિસ્તારમાં ડામર રોડનું કામ આગામી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે. આગામી સમયમાં પેવિંગ બ્લોકના કામો પૂર્ણ કરીને આ વિસ્તારને ડસ્ટ ફ્રી બનાવવાનું અમારું લક્ષ્ય છે.રૈયા ગામના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 85 ટકા રૈયા ગામમાં બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.અમુક સૂચિત વિસ્તારોમાં ટેકનિકલ કારણોસર અને ગ્રામ્ય વિસ્તારના રોડ ટી.પી. સ્કીમમાં ન હોવાને કારણે કે અમુક જગ્યાએ વ્યક્તિગત દાવાઓના લીધે કામગીરી અટકી હતી. પરંતુ બાકીના મોટાભાગના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડી દેવામાં આવી છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે:કોંગ્રેસ આગેવાનવોર્ડ નંબર 1ના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રમેશ જુંજાએ જણાવ્યું હતું કે,વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં સમસ્યાઓનો અંબાર છે,પરંતુ છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક કોર્પોરેટરો ક્યાંય દેખાયા નથી.જેના કારણે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે,વોર્ડમાં મુખ્યત્વે રોડ-રસ્તા અને સફાઈ સહિતની ગંભીર સમસ્યાઓ છે. હાલમાં હિરેન ખીમાણીયા અને દુર્ગાબા જાડેજા જેવા કોર્પોરેટરો છે, પરંતુ જનતા તેમને ઓળખતી પણ નથી.લોકોની માંગ છે કે સ્થાનિક અને સક્રિય પ્રતિનિધિ હોય જે ખરેખર કામ કરે.આયાતી કે બહારના ઉમેદવારોના કારણે વિકાસના કામોમાં અવરોધ આવતો હોય તેમ લાગી રહ્યું છે. બાળકો માટે આંગણવાડીની સુવિધા નથી:AAP ઉમેદવાર ગૌરીબેનવોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌરીબેન પાણખણીયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર લોકોની વચ્ચે જાય છે,ત્યારે લોકો પાયાની સુવિધાઓના અભાવે ખૂબ જ પરેશાન જોવા મળે છે.લોકોની મુખ્ય ફરિયાદોમાં ગટરની સુવિધાનો અભાવ,ખરાબ રોડ-રસ્તા અને સફાઈ કામદારોનું નિયમિત ન આવવું જેવી સમસ્યાઓ છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે લોકો તેમના વિસ્તારના કોર્પોરેટરોને પણ ઓળખતા નથી.દૂર્ગાબા જાડેજા અને હિરેન ખીમાણીયા જેવા કોર્પોરેટરોએ ક્યારેય મુલાકાત લીધી નથી કે લોકોના પ્રશ્નો સાંભળ્યા નથી.તુલસીપત્ર જેવા વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને ત્યાં 200થી વધુ બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા નથી.લોકો વર્તમાન પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે.જો આમ આદમી પાર્ટીની સત્તા પર આવશે,તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમણે ખાતરી આપી હતી. રોડ-રસ્તાના કામને પ્રાથમિકતા આપીશું:વાલજી કણઝારિયાઆમ આદમી પાર્ટીના બીજા એક ઉમેદવાર વાલજી કણઝારિયાએ જણાવ્યું કે ગાંધીગ્રામથી પરા પીપળીયા સુધીના આ વિસ્તારમાં અનેક પાયાની સમસ્યાઓ છે,જે વર્ષોથી વણઉકેલ છે.ગાંધીગ્રામ અને એરપોર્ટની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 20 વર્ષથી ગંદા પાણીની સમસ્યા છે અને ગટર લાઇન ચોકઅપ થવાની ઘટનાઓ પણ વારંવાર બને છે.મારુતિનગર અને પરા પીપળીયામાં આવેલી ઈન્દિરા આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં 15 વર્ષથી રોડ અને ગટરની કોઈ સુવિધા આપવામાં આવી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો સાંભળવા આવતા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તેઓ આ ચૂંટણીમાં વિજેતા બનશે તો જનતાની પાયાની જરૂરિયાતો અને સુવિધાઓ પૂરી પાડ્યા બાદ રોડ-રસ્તા સહિતના વિકાસના કામોને પ્રાથમિકતા આપશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

હરખપદુડા નેતાઓએ મતદાનની તારીખ ખોટી આપી:પ્રચારમાં ટાણે બાફ્યું; ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાને પાછા લીધા, સિનિયર MLAએ બાંયો ચઢાવી, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

નગરપાલિકાઓના કરોડો રૂપિયા સેરવવાનું મોટું કૌભાંડ:કેન્દ્ર સરકારની કંપની સાઇડલાઇન, સૌરાષ્ટ્રમાં ખાનગી એજન્સીનો દબદબો, જવાબ આપવામાં અધિકારીઓ હાંફ્યા

જ્યારે પાણીની ટાંકી ઉપયોગમાં લેવાતા પહેલાં જ તૂટી પડે… કે પછી બ્રિજની હાસ્યાસ્પદ ડિઝાઇનના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થાય ત્યારે જ સરકારી કામની પોલમપોલ ચર્ચામાં આવે છે. આ તો લોકોની નજરે ચડે એવા કામ છે. પણ દિવ્ય ભાસ્કરના આજના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં વાંચો સામાન્ય લોકોની નજરે ન ચડે એવા સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં થતી ગેરરીતિ અને અધિકારીઓની લાલિયાવાડીની બ્લૂપ્રિન્ટના પર્દાફાશ વિશે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી એક ઇંટ પણ મૂકતી નથી અને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. લોકોએ ટેક્સ પેટે આપેલા કરોડો રૂપિયાનો બગાડ કરવામાં કોણ અને કોણ રીતે સામેલ છે એ સમજો. રોડ, ગટર, બિલ્ડિંગ જેવા કોઈપણ સરકારી પ્રોજેક્ટ માટે સૌથી પહેલું કામ PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા તો પ્રોજેક્ટ મેપિંગ કંપનીનું હોય છે. જેમ કે કોઈ જગ્યાને ગટરલાઇન નાખવાની હોય તો પાઇપ કેટલી સાઇઝની નાખવી, તેની ડિઝાઇન કેવી હોવી જોઈએ, કેવા પ્રકારનું મટિરિયલ વાપરવાનું થશે, આ બધુ નક્કી કરવાનું કામ PMCનું હોય. જ્યારે સરકારી કામકાજમાં સૌથી છેલ્લો રોલ આવે છે TPIનો. એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી. જેમાં કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ કેવું કામ કર્યું છે એ ચકાસવાની જવાબદારી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીનું હોય. આ બન્ને કામ એવા છે જેમાં ઓછી હરીફાઇ, સામાન્ય માણસની સીધી નજરમાં ન આવે અને કરોડો રૂપિયા કમાવી શકાય. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં આવી જ એજન્સીઓનો પર્દાફાશ થયો, જેના પર નગરપાલિકાના પદાધિકારીઓથી લઈને ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓ મહેરબાન હોય એમ લાગે છે. અમારા ધ્યાને “ડિઝાઇન પોઇન્ટ” નામની એક કોન્ટ્રાક્ટ એજન્સી આવી. જેને વર્ષોથી સૌરાષ્ટ્રમાં દામનગર, લાઠી, ધારી જેવી ઘણી બધી નગરપાલિકાઓમાં વટથી કોન્ટ્રાક્ટ મળે છે. પહોંચ તો એવી કે કોઈ બીજાને કોન્ટ્રાક્ટ મળી જાય તો પણ યેનકેન પ્રકારે આ જ એજન્સીને લાભ મળે. આ વાતના પુરાવા પણ મળ્યા. 3 ફેબ્રુઆરી, 2017ના રોજ માર્ગ અને મકાન વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ 7 કરોડથી ઓછા રૂપિયાના પ્રોજેક્ટ માટે PQ એટલે કે પ્રિક્વોલિફિકેશન જરૂરી નથી. સરળ રીતે સમજીએ તો એવી શરતો જેમ કે, 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીએ જ ટેન્ડરમાં ભાગ લેવો. આવી કોઈ શરતની મનાઈ હતી. તેમ છતાં આ નિયમની અવગણના કરવામાં આવી. દામનગર નગરપાલિકાએ 2021ના વર્ષમાં ટેન્ડરમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે એક ટેન્ડર બહાર પાડ્યું, જે ટેન્ડર 7 કરોડથી ઓછી રકમનું હતું. તેમ છતાં નગરપાલિકાએ એવી શરતો રાખી જેના કારણે બીજી નાની એજન્સીઓ ટેન્ડરમાં ભાગ ન લઈ શકી. પરિણામ કદાચ જાણે ધાર્યા પ્રમાણે જ આવ્યું હોય એમ આ કામ પણ ડિઝાઈન પોઈન્ટને મળી ગયું. વાત માત્ર નવા કોન્ટ્રાક્ટ મેળવવાની નથી. જો અન્ય કોઈ એજન્સી અધવચ્ચે કામ છોડી દે તો પણ ડિઝાઇન પોઇન્ટને ચાંદી-ચાંદી થઈ જાય છે. કારણ કે જૂની એજન્સીએ મેળવેલા કોન્ટ્રાક્ટના ભાવ કરતા વધારે કિંમતે ડિઝાઇન પોઇન્ટને કામ આપી દેવાયું અને નગરપાલિકા તેને મંજૂર પણ કરે છે. આવો જ દાખલો ભાવનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓનો છે. જેમ કે ભાવનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓમાં 1.71%માં કામ કરવા માટે ગ્રેવિટાસ કંપનીને વર્કઓર્ડર મળ્યો હતો. પરંતુ ગ્રેવિટાસે થોડા સમય પછી કામ છોડી દીધું. તો બાબરા નગરપાલિકામાં આ જ કામ ડિઝાઇન પોઈન્ટે 2.60%માં રાખ્યું. જે બજારમાં ચાલતા ભાવ કરતા લગભગ બમણા હતા. ખાનગી કંપનીઓ જ નહીં સરકારી કંપની કરતા પણ ડિઝાઇન પોઇન્ટનું કામ સરકારી અધિકારીઓને સવાયુ લાગતું હોવાનો જીવતો જાગતો પુરાવો છે. વાપકોસ એટલે કે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસિસ, જે ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત એક અગ્રણી ટેકનિકલ કન્સલ્ટન્સી સંસ્થા છે. ગુજરાત સરકારના મોટા પ્રોજેક્ટ્સમાં તે એક મુખ્ય સલાહકાર તરીકે કામ કરે છે. તે પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને તેના અમલીકરણ સુધીની દેખરેખ રાખે છે. જાણકારોના મતે આમ તો વાપકોસને કામ આપવા સરકારે ટેન્ડર બહાર પાડવાની જરૂર નથી. તેઓ સીધી રીતે કામ સોંપી શકાય છે. તેમ છતાં 2022માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને (GUDM) ટેન્ડર દ્વારા ગાંધીનગર અને રાજકોટમાં મિશન અમૃત 2.Oનું કામ વાપકોસને સોંપ્યું. 29 ઓક્ટોબર, 2022ના રોજ વાપકોસને કામ કરવાનો પરવાનો મળી ગયો. પણ થોડા જ સમયમાં અસલી ખેલ શરૂ થયો વાપકોસે કહ્યું કે અમે આ કામ નહીં કરીએ. એટલે 29 એપ્રિલ, 2023ના રોજ ફરી એકવાર GUDMએ નવી એજન્સીની શોધ આદરી અને આખરે યેનકેન પ્રકારે આ કામ ડિઝાઇન પોઈન્ટને મળી ગયું. 7 નવેમ્બર, 2019ના રોજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના ધ્યાને ડિઝાઇન પોઇન્ટની કામમાં ગુણવત્તા બાબતની ગેરરીતિ આવી. એટલે આકરા પગલાં લઈને ડિઝાઇન પોઈન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણય સામે ડિઝાઇન પોઈન્ટ હાઈકોર્ટમાં ગઈ. 14 નવેમ્બર, 2019ના રોજ હાઈકોર્ટે કહ્યું કે પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તે અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી ડિઝાઇન પોઈન્ટ કામ કરી શકશે. આ કેસ થયાને 6 વર્ષ થયા છે. ત્યારથી માંડીને આજદિન સુધી આ કેસમાં એકપણ વખત સુનાવણી થઈ નથી. આશ્ચર્યની વાત એ છે કે જાણે GUDMને પણ જાણે આ કેસમાં રસ ન હોય એમ સુનાવણી માટે અપીલ કરી નથી. બીજી તરફ ડિઝાઇન પોઈન્ટને કોન્ટ્રાક્ટ મળતા જાય છે અને રૂપિયા ચૂકવાતા જઈ રહ્યા છે. એક અરજદારે 28 જૂન, 2025માં RTI મારફતે લાઠી નગરપાલિકાને અરજી કરી અને લાઠી નગરપાલિકા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે કન્સલ્ટન્ટ કામ કરતી એજન્સીની વિગતો માગી. જેમાં લાઠી નગરપાલિકાએ 2011નો એક પરિપત્ર જોડી સોહમ કન્સલ્ટન્ટ સર્વિસ કામ કરતી હોવાનું જણાવ્યું હતું. એટલે કે 2011થી માંડીને 2025 સુધી સોહમ કન્સલ્ટન્ટ સર્વિસ સિવાય અન્ય કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો ન હોવાનું નગરપાલિકાના જવાબથી માલુમ પડે છે. પરંતુ 2019માં GUDMએ ગાંધીનગરથી પરિપત્ર કરી DPRમાં ખામી આવતા લાઠી નગરપાલિકામાં ડિઝાઇન પોઈન્ટને કામ રોકવા પરિપત્ર કર્યો હતો. હવે સવાલ એ છે કે RTIમાં નગરપાલિકાએ આપેલા જવાબ મુજબ ત્યાં સોહમ કન્સલટન્ટ કામ કરે છે તો પછી ડિઝાઇન પોઈન્ટે કેવી રીતે કામ કર્યું? જો ટેન્ડર અપાયું હતું તો RTIમાં લાઠી નગરપાલિકાએ કેમ માહિતી ન આપી? આ અંગે સરકારને રજૂઆત કરનાર RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરેણિયા સાથે પણ વાતચીત કરી. તેમના જણાવ્યા પ્રમાણે 20-30 વર્ષ કે તેથી વધુ સમય સુધીની જરૂરીયાતોને ધ્યાને લઈને ડિઝાઇન સહિતનો રિપોર્ટ આવી એજન્સીઓએ બનાવવાનો હોય છે. તેના આધારે જે તે પ્રોજેક્ટની કિંમત, સમયસીમા નક્કી કરીને ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ટેન્ડર મેળવનાર કંપની પર પણ આ એજન્સીઓ નજર રાખે છે. ટેન્ડરની શરતોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, ક્વોલિટી જળવાય છે કે નહીં એ જોવાનું હોય છે. ત્યાર બાદ આ કામોનું બિલ બનાવીને નગરપાલિકામાં જમા કરવાનું હોય છે. નિલેશ ગરણીયાના જણાવ્યા પ્રમાણે આવી એજન્સીઓને જે તે પ્રોજેક્ટની ટકાવારીના અનુસંધાને પેમેન્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે નગરપાલિકાઓ સાથે તેમના દરેક કામને મેનેજ કરવાના પ્રોજેક્ટની કિંમતના 1.10 ટકાથી લઈને 1.60 ટકા સુધીની કિંમત વસૂલતી હોય છે. જેમ કે એક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો એજન્સીને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના કામ માટે 1 લાખ 60 હજાર રૂપિયા મળે. આ રકમ કદાચ નાની લાગતી હોય પણ ગુજરાતની નાનામાં નાની નગરપાલિકામાં પણ વર્ષે ઓછામાં ઓછા દસ કરોડના કામ તો થતા જ હશે. જ્યારે મોટી નગરપાલિકાઓમાં તો દર વર્ષે 100 કરોડ ઉપરાંતના વિકાસકાર્યો થાય છે. ડિઝાઇન પોઇન્ટ એજન્સી અત્યાર સુધી એક નહીં અનેક નગરપાલિકાઓમાં કામ કરી ચૂકી છે. એટલે તેને મળેલા કામોનો આંકડો કેટલો મોટો હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. નિલેશભાઈ GUDM પર ગંભીર આક્ષેપો લગાવતા કહે છે સરકારને આધીન સંસ્થા એવી વાપકોસ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કામ કરે છે. પરંતુ વાપકોસને સરખી રીતે કામ દેવામાં નથી આવતું. આ પ્રકારની ગેરરીતિઓમાં કેટલાક લોકોને GUDMએ સીધો સપોર્ટ કરવાનું કામ કર્યું છે. આ પ્રકારની સંસ્થામાં સીધી ગેરરીતિઓ જ થાય છે. નિલેશભાઈ કહે છે કે રાજકીય પીઠબળ વગર ડિઝાઇન પોઇન્ટને આટલા બધા કોન્ટ્રાક્ટ મળવા અને હજુ પણ કોઈ કાર્યવાહી ન થવી એ શક્ય નથી. અમે નગરપાલિકાના કામોમાં થયેલી ગેરરીતિ અંગે તપાસ કરવા માટે દામનગર અને લાઠી પહોંચ્યા. અમને જાણવા મળ્યું કે દામનગરના ચીફ ઓફિસરને લાઠીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે, તેઓ આજે લાઠીમાં છે. આમ, લાઠીમાં અમારી મુલાકાત નગરપાલિકાના ચીફ ઓફિસર વિજયભાઈ ડેર સાથે થઈ. ગેરરીતિ મુદ્દે પૂછેલા સવાલ અંગે તેમણે કહ્યું કે, મને આ વિશે વધારે ખબર નથી પરંતુ મને થોડો સમય આપો હું તપાસ કરાવી આપને માહિતી આપું છું. થોડા કલાકો પછી ટેલિફોનિક વાતચીતમાં ચીફ ઓફિસરે કહ્યું, તમારે અમારો જવાબ લેવા માટે લેખિતમાં તમારા પ્રશ્ન મોકલવો પડશે. આ પછી અમે તેમને લેખિતમાં સવાલો મોકલી આપ્યા. ચીફ ઓફિસરને અમે પૂછ્યું કે દામનગર નગરપાલિકામાં 2021માં TPI માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જે 7 કરોડથી ઓછી કિંમતનું હતું. માર્ગ અને મકાનવિભાગના પરિપત્ર મુજબ 7 કરોડથી ઓછી કિંમતના ટેન્ડર માટે પ્રિ-ક્વોલિફિકેશન જરૂરી નથી. તેમ થતા આ ટેન્ડરમાં પરિપત્રની કેમ અવગણના કરવામાં આવી? અને આ સાથે 2021થી 2026 સુધી ડિઝાઇન પોઈન્ટને મળેલા કામોની વિગત આપો? તેમને કરેલા ચૂકવણાની પણ વિગત આપો. ચીફ ઓફિસર વિજયભાઈ ડેરે લેખિત તો આપ્યો પરંતુ આ જવાબ સંતોષકારક ન હતો. નગરપાલિકાએ નિયમોની અસ્પષ્ટતાનો પૂરો લાભ ઉઠાવ્યો હોય એમ લાગે છે. તેમણે જવાબમાં લખ્યું, આ પરિપત્ર માર્ગ અને મકાન વિભાગનો છે જે TPIના કામોને લાગુ પડતો નથી કારણ કે તે કન્સ્ટ્રકશન વર્ક નથી. TPIનું છેલ્લું ટેન્ડર 2025માં બહાર પાડવામાં આવ્યું હતું જે દિશા એન્જિનિયરિંગને મળ્યું હતું. જ્યારે દામનગરમાં ડિઝાઇન પોઈન્ટ PMCની કામગીરી કરે છે. જો કે જાણકારોના મતે જ્યારે મોટાભાગના કિસ્સામાં TPIના કામોમાં માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના પરિપત્રનું પાલન થતું હોય છે. ચીફ ઓફિસરના જવાબમાં સ્પષ્ટતા ન હતી એટલે અમે સવાલો અને શંકાના ઘેરામાં આવેલી ડિઝાઇન પોઇન્ટની ઓફિસે પહોંચ્યા. અમરેલીની બજારમાં એક કોમ્પ્લેક્સમાં આવેલી 3 દુકાનોવાળી આ ઓફિસ બંધ હાલતમાં જોવા મળી. ડિઝાઇન પોઇન્ટના સર્વેસર્વા ગણાતા હિમાંશુ ધાનાણી સાથે રૂબરુ મુલાકાત તો ન થઈ શકી. પરંતુ તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ. જેમાં નીચે મુજબના સવાલ-જવાબ ચર્ચાયા. દિવ્ય ભાસ્કર- કઈ કઈ નગરપાલિકાઓમાં તમારું કામ ચાલુ છે?હિમાંશુ ધાનાણી- ઘણી બધી નગરપાલિકામાં કામ ચાલું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક ઝોનની નગરપાલિકામાં કામ ચાલુ છે. દિવ્ય ભાસ્કર- યેનકેન પ્રકારે ગોઠવણ કરી તમને જ કોન્ટ્રાક્ટ મળે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ આરોપ પર શું કહેશો?હિમાંશુ ધાનાણી- આવું બિલકુલ નથી. હું 1992થી આ ક્ષેત્રમાં કામ કરું છું. સેટિંગ કે એવું કંઈ નથી. હું ફી સિવાય અન્ય કોઈ બાબતમાં પડતો નથી. મારા વિરુદ્ધની ઘણી બધી વાતો થતી હોય છે. મારા ભાઈ અને સંતાનો વિદેશમાં છે. હું મારી પત્ની અને મારા બા એમ અમે ત્રણ જણા રહીએ છીએ અને એ પૂરતું હું કમાઉં છું. દિવ્ય ભાસ્કર- 2020માં ડિઝાઇન પોઈન્ટને GUDMએ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પાછળનું કારણ શું હતું?હિમાંશુ ધાનાણી- એ કિસ્સામાં અમે સાચુ કહેવા ગયા અને ભોગ બન્યા હતા. તે સમયમાં ટેન્ડરને લઈ અમને ધ્યાન આવ્યું કે, જે તે કંપનીએ ટેન્ડરમાં આપેલા કાગળિયા ખોટા છે. પછી અમે અધિકારીઓને જાણ કરી. એટલે તેમણે કહ્યું કે, આપણે દરેક એજન્સીના કાગળો ચેક કરીએ. એટલે બીજી બે-ત્રણ એજન્સીના કાગળો પણ ખોટા નીકળ્યા. આ પછી તેમને લાગ્યું કે આ તો ઘણું મોટું થશે એટલે અધિકારીઓને અમારી જ કંપની પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણયની સામે અમે કોર્ટમાં ગયા અને સરકારનું ધ્યાન દોર્યું. દિવ્ય ભાસ્કર- આ કેસ કોર્ટમાં કેમ આ આગળ નથી વધી રહ્યો?હિમાંશુ ધાનાણી- કોર્ટમાં શું કાર્યવાહી થતી હોય તેની મને કોઈ જાણ નથી. દિવ્ય ભાસ્કર- દામનગર નગરપાલિકામાં નિયમોની વિરુદ્ધ જઈને શરતો રાખીને જૂજ કંપનીઓ જ ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવી ગોઠવણ થઈ?હિમાંશુ ધાનાણી- મારું કામ ટેન્ડર બનાવવાનું નથી. હું તો ખાલી ટેન્ડર પ્રક્રિયામનાં ભાગ લેતો હોવ છું. મને કંઈ વધારે ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- બાબરામાં ગ્રેવિટાસે કામ છોડ્યું અને તે જ કામ તમને તેમનાથી વધારે ભાવે મળ્યું આ કેવી રીતે થયું?હિમાંશુ ધાનાણી- બાબરામાં ગ્રેવિટાસે ક્યારેય કામ કર્યું હોય તેવું મારા ધ્યાનમાં જ નથી. મને આ અંગે કંઈ જ જાણ નથી. દિવ્ય ભાસ્કર- તમારા રાજકીય સંબંધોને કારણે તમને જ કામો મળે છે તેવા આરોપ છે?હિમાંશુ ધાનાણી- મારે કોઈ પોલિટિકલ કનેક્શન નથી. હું રાજકીય વ્યક્તિ જ નથી. મેં ક્યારેય કોઈ રાજકીય ભલામણ પણ નથી કરી. અમે આ સમગ્ર મામલે GUDM, GUDC અને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર IAS અધિકારી રેમ્યા મોહન સાથે પણ મુલાકાત કરી અને જવાબ જાણવાનો પ્રયાસ કર્યો. રેમ્યા મોહને કહ્યું કે ગુજરાતમાં અનેક કંપનીઓ PMC, TPI સહિતના કામ સાથે જોડાયેલી હોય છે. આ તો આખો દરિયો છે, તેમાંથી કોઈ એક કંપની વિશેની માહિતી અમારી પાસે હોવી એ તાત્કાલીક શક્ય નથી. અમારે આ અંગે તપાસ કરવી પડશે. વધુમાં તેમણે અમને GUDCના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ ચાવડા સાથે મુલાકાત કરવા કહ્યું. ચાવડાએ પણ અમને દરેક માહિતી એકત્ર કર્યા બાદ જવાબ આપવા માટે સમર્થતા દર્શાવી. અમે જ્યારે એક દિવસ પછી તેમની મુલાકાત કરવા આવ્યા તો તેમણે ઓફ ધી રેકોર્ડ તો અનેક વાતો સ્વીકારી અને કેટલાકના જવાબ પણ આપ્યા. પરંતુ જ્યારે તેમને લેખિત જવાબ કે વીડિયો ઇન્ટરવ્યૂ આપવા અંગે અમે કહ્યું તો બોલ્યા, “થોડો સમય આપો. મેડમને પૂછવું પડશે.” યોગેશ ચાવડાની વાતને ગંભીરતા લઈને અમે થોડા સમય બાદ ફરીથી જ્યારે તેમનો સંપર્ક કર્યો તો વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ તેમણે કોઈ જવાબ ન આપ્યા. અંતે તેમણે લેખિતમાં કે વીડિયોમાં આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. હવે ગંભીર સવાલ એ છે કે ડિઝાઇન પોઈન્ટ સામે આટલી ગેરરીતિના આરોપ હોવા છતાં પણ સરકારી અધિકારીઓ કોઈ પ્રકારના આકરા પગલાં કેમ નથી લેતા. વળી, જો આરોપો ખોટા હોય તો પછી તેનું ખંડન કરવામાં પણ કેમ ખચકાચ અનુભવે છે?

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 am

મંડે પોઝિટીવ:RTE માટે 6 વર્ષની ઉંમર અને 6 લાખની આવક મર્યાદા : એક-બે નહીં, મહત્તમ શાળા પસંદ કરશો તો પ્રવેશની સંભાવના વધી જશે

બાળકને સારી ખાનગી શાળામાં ભણાવવાનું દરેક વાલીનું સપનું હોય છે. ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) અંતર્ગત આ સપનું સાકાર થઈ રહ્યું છે, પરંતુ ફોર્મ ભરતી વખતે નાનકડી ભૂલ બાળકના પ્રવેશમાં અવરોધ બની શકે છે. દિવ્ય ભાસ્કરે વાલીઓને મૂંઝવતા મુખ્ય પ્રશ્નોનો અભ્યાસ કરી તેના સચોટ ઉકેલ રજૂ કર્યા છે, જેથી તમારું બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. મોટાભાગના વાલીઓ માત્ર 1 કે 2 જાણીતી શાળાઓ જ પસંદ કરે છે. જો ત્યાં સીટો ભરાઈ જાય, તો પ્રવેશ મળવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. નિષ્ણાતોની સલાહ છે કે, તમારા ઘરથી 6 કિમીના દાયરામાં આવતી મહત્તમ શાળાઓ પસંદ કરો. શાળાનું નામ અને સરનામું ચકાસીને જ પસંદગીક્રમ આપો, જેથી અંતરના કારણે ફોર્મ રિજેક્ટ ન થાય. ઉકેલ : જાણો પ્રવેશ રદ ન થાય તે માટે ફોર્મ ભરવાથી લઈને સ્કૂલ પસંદગી સુધીની મહત્ત્વની બાબતો Q.1. ફોર્મ ભર્યા બાદ ભૂલ હોય તો શું કરવું?A. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. Q.2. RTEમાં મેળવેલ પ્રવેશ રદ થઇ શકે ખરા?A. વાલીએ બાળકના રજૂ કરેલા ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય, ખોટા રજૂ કર્યા હોય, આવક મર્યાદા કરતા વધુ હોય છતાં પ્રવેશ લીધો હોય તો પ્રવેશ રદ પણ થઇ શકે છે. Q.3. ભાડાના મકાનમાં કયો પુરાવો માન્ય રહેશે?A. આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ- જો આ મુજબના આધાર પૈકી કોઈ એક હોય તો, રજિસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી. Q.4. આંગણવાડીના બાળકે ક્યું પ્રમાણપત્ર આપવું?A. આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય તો આંગણવાડી વર્કર અથવા સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. Q.5. શાળા પ્રવેશ આપવાની ના પાડે તો?A. તમે જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે DEO/DPEOની કચેરીમાં રૂબરૂ વાંધા અરજી આપવાની રહેશે. Q.6. પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલા શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય?A. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડ માટે ફરી શાળા પસંદ કરી શકશે, પ્રવેશ ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ ફરી પસંદગી કરી શકશે નહીં. Q.7. વય મર્યાદા અને આવક કેટલી હોવી જોઈએ.A. ધોરણ-1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1લી જૂનના રોજ પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ગ્રામ્ય અને શહેરી બંને માટે રૂ.6 લાખની આવક મર્યાદા લાગુ પડશે. Q.8. મારે કેટલી શાળા પસંદ કરવી જોઈએ?A. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. Q.9. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે?A. દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરાશે. Q.10. મારા બાળકે ધો.1નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ફરીથી RTE હેઠળ ધો.1માં અરજી કરી શકાય?A. આપનું બાળક જો ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. Q.11. પ્રવેશ મળ્યા બાદ કોઇપણ ફી ભરવી પડશે?A. પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ માટે વિદ્યાર્થીદીઠ રૂ.3000 મળશે. Q.12. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકીએ?A. કોઇ મહત્તમ સીમા નથી. 6 કિમી સુધીમાં આવેલી શાળાઓ પૈકી ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:59 am

રીઢો ચોર ઝડપાયો:એસી કોચમાં જ ચોરી કરનારો ઝડપાયો, સાત ગુના ઉકેલાયા

પશ્ચિમ રેલવે અમદાવાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનોના એસી કોચમાં ચોરી કરતા આંતરરાજ્ય રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપી કનૈયારામ ગરીબરામ (બિહાર)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 1.50 લાખની કિંમતની મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાત્રિના સમયે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચમાં મુસાફરો ઊંઘતાં હોય ત્યારે તેમના કિમતી સામાનની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં અનેક ગુના નોંધાયેલા હતા. હાલની કામગીરી દરમિયાન વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ અન્ય સંભવિત ગુના અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. આ શહેરોમાં ગુના નોંધાયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:56 am

કાનપુર-લખનઉ સેક્શનમાં મેગા ટ્રાફિક બ્લોક:અમદાવાદ-દરભંગા અને સાબરમતી મુજફ્ફરપુર ટ્રેનના રૂટમાં ફેરફાર

ઉત્તર રેલવેના કાનપુર-લખનઉ સેક્શનમાં બ્રિજ પર ચાલી રહેલી કામગીરીને કારણે 2 એપ્રિલથી 13 મે સુધી રેલવે દ્વારા મેગા ટ્રાફિક અને પાવર બ્લોક લેવાયો છે. આ બ્લોકને પગલે અમદાવાદથી સંચાલિત થતી બે ટ્રેનોના માર્ગમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ હવે કાનપુરથી પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય અને પાટલીપુત્ર માર્ગે દોડશે, જેથી આ ટ્રેન લખનઉ, અયોધ્યા કેન્ટ, શાહગંજ અને છપરા સ્ટેશનો પર નહીં જાય. તે જ રીતે ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ પણ આ સમય દરમિયાન લખનઉ, ગોંડા, બસ્તી, ખલીદાબાદ, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, સીવાન અને છપરા સ્ટેશનો પર નહીં જાય. કેટલાક પેસેન્જરે કન્ફર્મ ટિકિટ હોવા છતાંય કેન્સલ કરવી પડશેરૂટ બદલાતા મહત્ત્વનાં સ્ટેશનો પરથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં થાય, જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રાના પ્લાનમાં ફેરફાર કરવો પડશે, જેમાં કેટલાકે કન્ફર્મ ટિકિટ હોવા છતાં રદ કરાવવી પડશે અથવા અન્ય સ્ટેશન પર ઊતરતા મુસાફરી સમયમાં વધારો થવાની પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:55 am

મંડે પોઝિટીવ:અડાલજથી વૈષ્ણોદેવી વચ્ચે 10 કિમીમાં 7 સમાજનાં ભવનો બનશે

વૈષ્ણોદેવી વિસ્તારને એજ્યુકેશન હબ તરીકે જાહેર કરવા માટે 6 પ્રમુખ સમાજ પોતાના ભવન તૈયાર કરી રહ્યા છે. વૈષ્ણોદેવીથી અડાલજ સુધીના 10 કિલોમીટરમાં 6 મોટા ભવન તૈયાર થઈ રહ્યા છે. વર્ષ 2028 સુધીમાં આશરે 1 હજાર કરોડમાં આ તમામ ભવનો તૈયાર થશે, જેમાં અભ્યાસને લઈને સમાજની સ્કૂલો, કોલેજો, ભવનની સાથે તાલીમ સેન્ટરના હેતુથી આ તમામ ભવન બનશે. અડાલજમાં સૌથી મોટું ભવન આંજણા ચૌધરી સમાજનું ત્યારે સૌથી ઊંચું પ્રજાપતિ સમાજનું ભવન તૈયાર થશે. અડાલજ એ અમદાવાદ, ગાંધીનગર, તેમ જ ઉત્તર ગુજરાતથી સેન્ટરમાં પડતું હોવાના લીધે અગ્રણી તમામ સમાજ પોતાના ભવન તૈયાર કરે છે. ચૌધરી સમાજ ભવન: 300 કરોડ ખર્ચપહેલી વાર દેશના તમામ જાટ, આંજણા અને ચૌધરી સમાજના વિદ્યાર્થીઓને એથલીટની તૈયારીઓ તેમ જ સરકારી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે 300 કરોડના ખર્ચે આ ભવન માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવશે. અભ્યાસની સાથે શારીરિક સક્ષમતાની પણ તાલીમ આપવામાં આવશે. (ઉપપ્રમુખ: નાનજી ચૌધરી) પ્રજાપતિ સમાજ ભવન: 250 કરોડ ખર્ચપ્રજાપતિ સમાજના સૌથી વધારે વસ્તી ઉત્તર ગુજરાત તેમ જ અમદાવાદમાં રહેતી હોવાથી અડાલજમાં ભવન બનવાનું નક્કી કરાયું, સાથે સાથે પહેલીવાર માત્ર સમાજની દીકરીઓ માટે કોલેજોનું નિર્માણ કરાશે. તમામ વિદ્યાર્થીઓ માટે એક પણ રૂપિયાનું ટોકન કે ફી લેવામાં આવશે નહીં. ભવન-હોસ્ટેલની સાથે કોલેજોનું નિર્માણ કરાશે. સમાજના એક સાથે 500થી વધારે વિદ્યાર્થીઓને ઉતારો આપવામાં આવશે. (પ્રમુખ: અનિલ પ્રજાપતિ) ઠાકોર સમાજ ભવન: 35 કરોડ ખર્ચગાંધીનગર તેમ જ અડાલજમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવાના કારણે, તેમ જ સમાજના વિદ્યાર્થીઓનું ઓછું ભણતર હોવાના લીધે અડાલજમાં ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અડાલજની સાથે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું ભવન તૈયાર કરાશે. રબારી સમાજ ભવન: 65 કરોડ ખર્ચવૈષ્ણો દેવી સર્કલ ખાતે અંતિમ 2 વર્ષથી સમાજ દ્વારા રેક્ટ ભવન તૈયાર કરાય છે, આ ભવન 8 માળ ઊંચું હશે. ગાંધીનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત જવા માટે સેન્ટર પડતું હોવાથી સમાજના અગ્રણીઓ દ્વારા ભવન બનાવવાનું નક્કી કરાયું છે. સમાજના વિદ્યાર્થીઓ માટે હાલ નાનું સેન્ટર ચાલુ છે. ભવન માટે સમાજના અગ્રણીઓએ દાનમાં જમીન આપી છે. (પ્રમુખ: મુકેશભાઈ રબારી ભાંડુ) પાટીદાર સમાજ ભવન: 150 કરોડ ખર્ચસરદાર ધામ સંસ્થા અંતિમ 10 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. વૈષ્ણોદેવી સર્કલમાં સમાજની દીકરીઓ માટે માત્ર 1 રૂપિયાના ટોકનમાં 14 માળ ઊંચું ભવન તૈયાર કર્યું છે. આ સંસ્થા માત્ર સમાજની દીકરીઓ માટે કાર્ય કરે છે, જેમાં સરકારી તાલીમ ઉપર ફોકસ કરે છે. 100થી વધુ અગ્રણીઓ આ ભવન માટે સેવા આપી રહ્યા છે. સંસ્થા દ્વારા 5 વર્ષ પહેલા પણ મહિલા ભવનનું ફેઝ વન તૈયાર કરાયું હતું. (પ્રમુખ: ગગજી સુતરીયા) પટેલ સમાજ ભવન: 2 હજાર કરોડ ખર્ચવિશ્વ ઉમિયા ધામ માત્ર પાટીદાર સમાજની સાથે સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે. અડાલજના જાસપુરમાં સૌથી મોટા ભવનની સાથે તમામ સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં સ્થાન આપવામાં આવશે. તેમ જ દેશ ભરના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને આ ભવનમાં ઉતારો અપાશે. (પ્રમુખ: આરપી પટેલ) મોદી સમાજ ભવન: 30 કરોડ ખર્ચમોદી સમાજની વૈષ્ણોદેવીમાં મહિલા ભવન તૈયાર કરી રહી છે, આ પ્રકારનું મહિલા ભવન પહેલીવાર તૈયાર થઈ રહ્યું છે. આ ભવનમાં વિધવા, નિરાધાર તેમ જ સમાજની દીકરીઓને ઉતારો આપવામાં આવશે. ભવનમાં ઓછા દરે ઉતારોની વ્યવસ્થા કરાઇ છે. (પ્રમુખ: દિલીપ મોદી)

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:51 am

મ્યુનિ. સ્ટડી ટૂરના નામે પિકનિક:5 અધિકારી સ્ટડી ટૂરના નામે વિદેશ ફરી આવ્યા, નિવૃત્ત થયા પણ રિપોર્ટ ન આપ્યો

મ્યુનિ. સ્ટડી ટૂરના નામે અધિકારીઓને વિદેશ પ્રવાસે મોકલે છે પરંતુ આ પ્રવાસો માત્ર ‘પિકનિક’ બનીને રહી ગયા હોય તેમ જણાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે માગેલી માહિતી મુજબ, 2016 થી 2018 દરમિયાન 5 ઉચ્ચ અધિકારી (તત્કાલીન મેયર સહિત) મ્યુનિ.ના લાખોના ખર્ચે સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા. નિયમ મુજબ, વિદેશથી પરત આવ્યા બાદ ત્યાં શીખેલી બાબતોનો ‘લર્નિંગ રિપોર્ટ’ સોંપવો અનિવાર્ય છે, જેથી અન્ય અધિકારીઓ પણ તેનો લાભ લઈ શકે. જોકે, આ 5 અધિકારીઓએ વર્ષો વિતવા છતાં કોઈ અહેવાલ આપ્યો નથી. મ્યુનિ. કમિશનરે 2018માં અને ત્યારબાદ છેક 2024માં ફરી પરિપત્ર કરીને અહેવાલ માગ્યો હોવા છતાં અધિકારીઓએ આપ્યો નથી. આ પૈકીના કેટલાક અધિકારીઓ હવે નિવૃત્ત થઈ ગયા છે, છતાં તેમની જવાબદારી નક્કી કરાઈ નથી. ટ્રાન્સપોર્ટેશન-હેરિટેજના પાઠ ભણવા માટે પ્રજાના 5 લાખનો ધુમાડો કર્યો

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:49 am

પાર્કિંગ મુદ્દે મ્યુનિ.નું કડક વલણ:સોસાયટીઓ વધારાની પાર્કિંગની જગ્યા ભાડે આપી શકશે, દબાણ નથી તેનું સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા નવી ગાઈડલાઈન અમલી બનાવવામાં આવી છે. હવે સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગના માર્જિનમાં દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. જો બીયુ પરમિશન વખતે દર્શાવેલી પાર્કિંગની જગ્યાનો અન્ય ઉપયોગ થતો જણાશે, તો બિલ્ડિંગની મંજૂરી રદ થઈ શકે છે. દરેક સોસાયટીએ દર વર્ષે પાર્કિંગ દબાણમુક્ત હોવાનું ‘સેલ્ફ ડેક્લેરેશન’ આપવું ફરજિયાત રહેશે. સોસાયટીઓ માટે કમાણીની તક પણ છે. જો વધારાની પાર્કિંગની જગ્યા હોય, તો તેઓ કોર્પોરેશનના માધ્યમથી અન્ય લોકોને ભાડે આપી શકશે, જેનું ભાડું સોસાયટી પોતે નક્કી કરશે. રોડ પર અનધિકૃત પાર્કિંગ ન થાય તે માટે સોસાયટીએ વોચમેન રાખવો પડશે અને મુલાકાતીઓના વાહનો બિલ્ડિંગની અંદર જ પાર્ક થાય તે સુનિશ્ચિત કરવું પડશે. જૂની બિલ્ડિંગો માટે મુલાકાતી પાર્કિંગની વ્યવસ્થા કરવી એક પડકાર રહેશે, પરંતુ આ નવી પોલિસીથી રોડ પરનું દબાણ ઘટશે. પાર્કિંગની માહિતી એપ પર જાહેર કરવી પડશે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:47 am

ખાદ્યતેલના ભાવમાં ઉછાળો:છેલ્લા દોઢ માસમાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પામતેલની આયાત ઓછી થવાથી તેની અસર સ્થાનિક બજારમાં પડી છે. છેલ્લા દોઢ મહિનામાં સિંગતેલમાં ડબે રૂ.150 અને કપાસિયામાં રૂ.240નો વધારો થયો છે. ભાવ વધારાના કારણે શહેરમાં રોજ 5.84 કરોડનો વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચેના ગાળામાં લગભગ તમામ મુખ્ય તેલોમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવ રૂ. 2,950થી વધીને રૂ. 3,100 થયા છે એટલે કે રૂ. 150નો વધારો થયો છે. કપાસિયા તેલમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે, જેમાં રૂ. 2,320થી વધીને રૂ. 2,560 સુધી પહોંચી રૂ. 240નો વધારો થયો છે. તાજેતરમાં જ સિંગતેલમાં રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ. 20નો થયો છે. ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બિપિન શાહનું કહેવું છે કે, કુલ વધારામાંથી રૂ.70થી 80નો વધારો માત્ર યુદ્ધના પ્રભાવના કારણે થયો છે. આ પરિસ્થિતિ પાછળ કાચા માલની અછત પણ મહત્વનું કારણ છે. શહેરમાં સિંગતેલના રોજના 3 હજાર, કપાસિયા તેલના 12 હજાર, સનફ્લાવના 10 હજાર, પામતેલના 25 હજાર અને સરસવના 5 હજાર ડબાનું વેચાણ થાય છે. ભાવ વધારાના કારણે અમદાવાદીઓ પર રોજના 5.84 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડ્યો છે. પામતેલમાં સૌથી વધુ રૂ.280નો વધારો નોંધ : બે માસમાં તેલના ડબ્બે થયેલા ભાવ વધારો રૂપિયામાં છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:46 am

સિટી એન્કર:અમદાવાદ સહિત રાજ્યમાંથી 2 વર્ષમાં 1.77 લાખ મોબાઈલ ચોરાયા, પોલીસે 100 કરોડના 51 હજાર ફોન શોધી માલિકોને પાછા આપ્યા

ચોરી થયેલા, ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન બ્લોક કરવા તેમજ દેશના ગમે તે ખૂણામાં તે ફોન ચાલુ થાય તો તેને આઈએમઈઆઈ નંબરના આધારે શોધી કાઢવા પોલીસે સીઈઆઈઆર પોર્ટલ (સેન્ટ્રલ ઈકવીપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર) તૈયાર કર્યુ હતું. આ પોર્ટલની મદદથી અમદાવાદ સહિત રાજ્યમાંથી ચોરી થયેલા 1.77 લાખ મોબાઈલ ફોનમાંથી 1.10 લાખ ફોન ટ્રેક કરાયા હતા જ્યારે પોલીસે 51 હજાર ફોન શોધીને માલિકને પરત આપ્યા છે. જેની ટકાવારી 46 ટકા જેટલી થાય છે. આ શોધી કાઢેલા ફોનની અંદાજિત કિંમત 100 કરોડ થવા જાય છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયણે કહ્યું કે, આ સોફટવેરનો ઉપયોગ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફને ટ્રેનિંગ અપાઈ હતી. દેશભરમાંથી કુલ 50 લાખ મોબાઈલ નંબર બ્લોક કરાયા હતા, જ્યારે 30 લાખ નંબર ટ્રેક થઈ રહ્યા હતા. ડીજીપી ઓફિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2 વર્ષમાં ચોરી થયેલા, ખોવાયેલા, ગુમ થયેલા 1.77 લાખ મોબાઈલ ફોનનો ડેટા આ સોફટવેરમાં નખાયો હતો. તેમાંથી 1.10 લાખ મોબાઈલ દેશના જુદા જુદા શહેર, જિલ્લા અને ગામડાઓમાં એક્ટિવ થયા હોવાથી તેને ટ્રેક કરાયા હતા. તેમાંથી આઈએમઈઆઈ નંબરના આધારે 51 હજાર મોબાઈલ શોધી કઢાયા હતા. અમદાવાદમાંથી વર્ષે 4થી 5 હજાર મોબાઈલ ફોન ચોરાય છેપોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદમાંથી દર વર્ષે 4 થી 5 હજાર જેટલા મોબાઈલ ફોનની ચોરી થાય છે. જ્યારે સીઈઆઈઆર પોર્ટલની મદદથી પોલીસે થોડા જ સમયમાં 300 થી વધારે ફોન શોધીને માલિકોને પાછા આપ્યા હતા. જ્યારે દિન પ્રતિદિન ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં પોલીસનો ડિટેકશન દર વધી રહ્યો છે. આ રીતે કામ કરે છે CEIR સોફ્ટવેરસેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) એ એક કેન્દ્રીય સિસ્ટમ છે જે ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલના IMEI નંબરને નેટવર્ક સ્તરે બ્લોક કરે છે. આ સોફ્ટવેરની ખાસિયત એ છે કે ફોન ગમે તે રાજ્યમાં હોય, તેમાં નવું સીમકાર્ડ નાખતા જ તે નેટવર્ક પકડતું નથી અને તુરંત પોલીસને લોકેશન મોકલી દે છે. આ સોફટવેરથી મોબાઈલ રિક્વરીમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે, 1.10 લાખ ફોન ટ્રેસ કરાયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:44 am

મંડે પોઝિટીવ:પોલીસ સ્ટેશન, કોર્ટના ધક્કાનું વિચાર્યા વિના અકસ્માતમાં લોહીલુહાણ બે લોકોને હોસ્પિટલ પહોંચાડી ‘રાહવીર’ બન્યા, સરકારે સન્માનિત કર્યા

અકસ્માત સર્જાય ત્યારે લોકો પોલીસ કાર્યવાહી કે કોર્ટના ધક્કાથી ડરી મદદ કરવાનું ટાળે છે, પણ શહેરના બે રાહવીરે તેની ચિંતા કર્યા વગર અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદે આવ્યા હતા. આ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર કચેરીએ ‘રાહવીર યોજના’ અંતર્ગત બંનેને 25-25 હજાર ઇનામ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. એક રાહવીરે બાવળા હાઈવે પર અકસ્માતમાં કચ્ચરધાણ નીકળી જવા છતાં ગેસ કટરથી કાપી જીવિત લોકોને બહાર કાઢ્યા હતા. બીજા રાહવીરે સનાથલ સર્કલ પરના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો. કિસ્સો 1: બાવળા હાઈવે પર કારમાં ફસાયેલા ડ્રાઈવરનું બચવું મુશ્કેલ હતુંબાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઈવર લોખંડનાં પતરાં વચ્ચે ફસાયો હતો. એ સમયે બાવળાના ‘રાહવીરે’ ત્યાં પહોંચી જોયું કે ઈજાગ્રસ્તના શ્વાસ ખૂટી રહ્યા છે. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની રાહ જોવામાં જો મોડું થશે તો જીવને જોખમ છે. યુવકે તાત્કાલિક ગેસ કટરની વ્યવસ્થા કરી એકત્ર થયેલા લોકોની મદદથી ગેસ કટરથી કારના પતરાં કાપી જીવ બચાવ્યો હતો. એક નાની ભૂલ ઈજાગ્રસ્તનો જીવ લઈ શકત, પણ ચોકસાઇથી કામ કરતા ભારે જહેમત બાદ લોખંડના પતરાં કાપી ઈજાગ્રસ્તને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા તેનો જીવ બચ્યો હતો. કિસ્સો 2: સનાથલ સર્કલ પાસેના યુવતી વાહનની ટક્કરે ફંગોળાતા ઈજા થઈ હતીસનાથલ સર્કલ પાસે અકસ્માતની બીજી ઘટનામાં સાંજે 4થી 5 વાગ્યા વચ્ચે ટ્રાફિકમાં એક 20 વર્ષની યુવતી પૂરપાટ વાહનની અડફેટે આવતાં હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. રજાના કારણે રસ્તા સૂમસામ હોવાથી યુવતીની મદદ કરનાર કોઇ જણાતું નહોતું. આ સમય દરમિયાન નોકરીએથી પરત ફરતી એક વ્યક્તિએ ગંભીર ઇજાગ્રસ્ત યુવતીને જોતાં જ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ જતા તેને સમયસર સારવાર મળી ગઈ હતી. અત્યાર સુધી 85 રાહવીરને 6.18 લાખ ચૂકવાયાઅકસ્માતના એક કલાકની અંદર જ ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઇ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે તો તેને પ્રોત્સાહન અપાય છે. આ રકમ પહેલા 5 હજાર હતી, તેને વધારીને 25 હજાર કરાઇ છે. ગુજરાતમાં 2023થી જાન્યુઆરી 2026 સુધીમાં 85 રાહવીરને 6.18 લાખની સહાય અપાઇ છે. મગજ-કરોડરજ્જુની ઈજા, મોટી સર્જરી કે દર્દીને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવાના ગંભીર કિસ્સામાં આ સહાય મળે છે. આ સ્થિતમાં સારવાર દરમિયાન મૃત્યુ થાય તો પણ રાહ-વીર સહાયને પાત્ર છે. 50% મોત સમયસર સારવારના અભાવે થયા

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:42 am

મંડે પોઝિટીવ:જંગલમાં પિતા- પુત્રએ 6000 લીટર પાણીથી પશુ-પક્ષીઓ માટે કુંડ ભર્યા

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીમાં જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓને પીવા માટેના પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડીયાલ ગામના પિતા- પુત્રએ કરી છે. જેઓ સ્વખર્ચે પોતાનું ટ્રેકટર અને ગ્રામ પંચાયતના ટેન્કરમાં પાણી ભરી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કુંડ પાણીથી ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં 6000 લીટર પાણી તેમણે પ્રાણી પક્ષીઓને પીવડાવ્યું છે. પાલનપુર તાલુકાના જડીયાલ ગામના સામાજીક કાર્યકર ખેડૂત અને જીવદયા પ્રેમી સમીરભાઇ દેસાઇ અને તેમના પુત્ર મિતેશ દર વર્ષે ઉનાળામાં સેવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, અસહ્ય ગરમીમાં મનુષ્યો તો ઠીક, અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. આવી વિકટ પરિસ્થિતિમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતા જ જંગલમાં જઇએ છીએ. આ વખતે 2000 લીટર પાણીના ત્રણ ટેન્કર દ્વારા કુલ 6000 લીટર પાણી કુંડમાં ભર્યું છે. ગયા વર્ષે 50 પાણીના કુંડા પણ ઝાડ ઉપર બાંધી તેમાં પાણી ભર્યુ હતુ. આ કામગીરી ઉનાળામાં પશુ-પક્ષીઓ પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ફંટાય અને જંગલમાં જ તેમને ખોરાક-પાણી મળી રહે તે હેતુથી અમે આ પ્રયાસ કર્યો છે. રાની પશુઓ માટે આશીર્વાદરૂપ સેવાજડીયાલનું જંગલ રીંછ, દીપડા, નીલગાય, શિયાળ અને વાંદરા જેવા પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ઉનાળામાં કુદરતી જળસ્ત્રોત સુકાઈ જતાં આ પ્રાણીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે સમીરભાઈ અને મિતેશભાઈ દ્વારા ભરાતા આ પાણીના કુંડ આ વન્યજીવો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:38 am

ટેક્સ ચોરી પકડવા સેટેલાઇટ સોફ્ટવેર સિસ્ટમ ઊભી કરાશે:હવે ‘ઉપરવાળો’ બધું જોશે!

ગુજરાતના આવકવેરા વિભાગ અને ઇસરો વચ્ચે ટેક્સ સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે એમઓયુ થયા છે. એમઓયુ મુજબ, એક સોફ્ટવેર ટુલ્સ કે મોડેલ બનાવાશે, જે ટેક્સના વહીવટતંત્ર અને ટેક્સ નિયમોના પાલન માટે સેટેલાઇટ તસવીરનો ઉપયોગ કરશે, એટલે કે સેટલાઇટ ડેટા દ્વારા કરચોરી પકડવામાં આવશે. હાલમાં ખેતીની જમીન બાબતે મુખ્ય બે રીતે ટેક્સ ચોરી થાય છે: ખેતી કર્યા વગર કૃષિ આવક બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા બિનખેતીને કૃષિ જમીન બતાવવી અને બીજું જમીન વેચાણમાં કેપિટલ ગેઇન બચાવવા માટે બિનખેતી જમીનને કૃષિ તરીકે દર્શાવવી. હવે સેટેલાઇટ ડેટાના એનાલિસિસથી આ બંને ગેરરીતિઓ સરળતાથી પકડાશે. રિમોટ સેન્સિંગ દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ અને ડેટા પરથી પાકનો પ્રકાર, તેની વૃદ્ધિ, જમીન લીલી છે કે સૂકી આ બધું જાણી શકાય છે. એટલે કે સેટેલાઇટ ઇમેજના ઉપયોગથી ખેતીની જમીનની ખરાઇ થઇ શકશે અને ખોટી કૃષિ આવક બતાવી ટેક્સ ચોરી કરનાર પર લગામ લાગશે. આ એમઓયુ થવાથી રિમોટ સેન્સિંગ ડેટાથી ઇન્કમ ટેક્સ રિટર્નની સ્ક્રુટિની વધુ ચોક્કસ બનશે. ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઈક્રોવેવ રડાર સેટેલાઈટઆ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને માઇક્રોવેવ રડાર સેટેલાઇટનો ઉપયોગ થશે, જે 3-5 વર્ષ સતત માહિતી આપશે. ઉપરાંત 15-20 વર્ષનો ડેટા હોવાથી લાંબા ગાળાની તપાસ થઇ શકશે. ડેટાનો ઉપયોગ સાચા ખેડૂતો પોતાના હિત માટે કરી શકશે. કોઈ સાચી ખેતી કરે છે, તો ડેટાના આધારે પોતાની આવકને સાબિત કરી ખોટા કેસથી બચી શકશે. ‘આ માટે ખાસ એપ-પોર્ટલ તૈયાર જેમાં અધિકારીઓને જમીનનો ઈતિહાસ દેખાશે’નોર્મલાઇઝ્ડ ડિફરન્સ વિજિટેશન ઇન્ડેક્સ (NDVI) ટેકનોલોજીથી પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન થાય છે. જો કોઈ કરદાતા 5 વર્ષથી ખેતી બતાવે પરંતુ સેટેલાઇટ ડેટામાં જમીન સૂકી દેખાય, તો તરત જ શંકા ઊભી થાય છે. આ માટે ખાસ એપ અને પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અધિકારીઓ સીધા જ જમીનનો ઇતિહાસ જોઈ શકે. અગાઉ 2થી 5 વર્ષ જૂના રિટર્ન ચકાસવામાં આવકવેરા અધિકારીઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સેટેલાઇટ ડેટાથી તપાસ ઝડપી બનશે. > નિલેશ દેસાઇ, ડાયરેક્ટર, ઇસરો ભાસ્કર ઇનસાઇડ: કેવી રીતે ખેતીની જમીન બતાવી ટેક્સ ચોરી થાય છે? ખોટી પેમેન્ટ સ્લિપ રજૂ કરીને: જો જમીન વેચતા પહેલા ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેના પર ખેતી થઈ હોય, તો કેપિટલ ગેઈન ટેક્સમાં મુક્તિ મળે છે. પરંતુ કેટલાક લોકો બંજર જમીન વેચે છે જેના પર ક્યારેય પાક લેવાયો નથી. તેઓ ટેક્સ બચાવવા બનાવટી પેમેન્ટ સ્લિપ રજૂ કરે છે. ખેતીના ખર્ચમાં વધારો બતાવવો: ટેક્સ બચાવવા માટે કેટલાક લોકો ખેતી માટે બિયારણ, ખાતર અને મજૂરીના ખોટા બિલો બનાવીને વધુ પડતો ખર્ચ દર્શાવે છે. આનાથી તે જમીન પર થતો નફો ઓછો દેખાય છે, જેનો ઉપયોગ અન્ય કાળા નાણાંને એડજસ્ટ કરવા માટે થાય છે. જમીનની કિંમત ઓછી દર્શાવવી: જમીન વેચતી વખતે તેની સાચી બજાર કિંમત કરતાં દસ્તાવેજમાં ઓછી કિંમત દર્શાવવામાં આવે છે. બાકીની રકમ રોકડમાં લેવામાં આવે છે, જેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડતો નથી. જમીનનો બિન-ખેતી ઉપયોગ છુપાવવો: ઘણીવાર જમીન માલિકો જમીનનો ઉપયોગ વાણિજ્યિક કે રહેણાંક હેતુ માટે કરતા હોય છે, પરંતુ કાગળ પર તેને ખેતીની જમીન તરીકે જ દર્શાવે છે. અન્ય વ્યવસાયની આવકને ખેતીની આવક ગણાવે છે. પાક વીમા ક્લેઇમનું પણ આકલન થઇ શકશેઆ ટેકનોલોજીનો ઉપયોગ કરચોરી પકડવા પૂરતો જ નહીં, ક્રોપ ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં પણ થશે. પાકની વૃદ્ધિ, સિઝનલ ફેરફારના આધારે ક્લેઇમ નક્કી થઈ શકશે. આ ઉપરાંત ખોટા ક્લેઇમ પર નિયંત્રણ આવશે. કેટલું નુકસાન થયું તે ચોક્કસ માપી શકાય છે. ખેડૂતો દાવો સાબિત કરી શકે છે અને સરકાર પણ સચોટ રીતે ક્લેઇમ નક્કી કરી શકે છે, જેથી પારદર્શિતા વધશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:35 am

પોલીસ કાર્યવાહી:3 સ્થળેથી દારૂની 12 બોટલ સાથે યુવતી સહિત 3 ઝડપાયા

મૂળ રાણાવાવના અણીયારી ગામે અને હાલ જૂનાગઢ રહેતી ક્રિષ્નાબેન શામજી ભરડવા નામની યુવતી કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે શંકાના આધારે તપાસ કરતા આ યુવતીના કબ્જા માંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ. 3510નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત બીજા કેસમાં પોરબંદરના વેકુરડી પ્લોટ જાહેરપીરની દરગાહ સામે રહેતો નરશી વેલજી સીકોતરા નામના શખ્સને તેના ઘર નજીકથી પોલીસે શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ કુલ રૂ.4080નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પારેખ ચકલા સોની બજારમાં રહેતો ચંદ્રેશ હેમેન્દ્ર પારેખ નામનો શખ્સ ગાયવાડી જાહેર શૌચાલય પાસે હતો ત્યારે પોલીસે શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઇ કુલ રૂ.2600નો મુદ્દામાલ કબ્જે કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, વધુ એક અન્ય બનાવમા પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 30 કેસ નોંધાયા હતા, જેમાં 13 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 17 કેસમાં પોલીસે 108 લિટર દેશી દારૂ અને ભઠ્ઠી સહિત કિંમત રૂ.27,550નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

બાઇક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો:માધવપુરમાંથી વધુ એક બાઈક ચોરી થતા ફરિયાદ

માધવપુર ગામે ગદાવાવ ઝાંપા વિસ્તારમાં પાતા ગામના આધેડે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું જે બાઈક ચોરી થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પાતા ગામે દડ વિસ્તારમાં રહેતા ભીખુભાઈ લાખાભાઇ પરમાર નામના આધેડે પોતાનું GJ 25 R 3131 નંબરનું બાઇક ગત તા.29/3ના રોજ માધવપુરમાં ગદાવાવ ઝાંપા પાસે બેન્કની સામે આવેલ કોમ્પલેક્ષના પાછળના ભાગે ગલીમાં પાર્ક કર્યું હતું. અને પરત લેવા જતા આ બાઇક મળી આવેલ ન હતું. જેથી આધેડે શોધખોળ કરી હતી પરંતુ બાઇક કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયો હોય જેથી આધેડે પોલીસમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી વધુ આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

મંડે પોઝિટીવ:બસસ્ટેશનથી ગેબનશા પીર સુધી રિવરફ્રન્ટ લંબાવવાનું કામ મંજૂર થયું હતું

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે. દિવસે ને દિવસે વધતી જતી વસતી અને વાહનોને કારણે આ સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ગેબનશા પીર સુધી નદીના કાંઠે રૂ.50 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. તેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસથી આર્ટસ કોલેજના ઢાળ સુધી પહેલા રિવરફ્રન્ટ બનાવ્યો હતો ત્યારબાદ આર્ટસ કોલેજના ઢાળથી બસ સ્ટેશન સુધી આ રિવરફ્રન્ટને લંબાવવામાં આવ્યો હતો હવે અત્યારે બસ સ્ટેશનથી વઢવાણ ગેબન સા પીરની દરગાહ સુધી લંબાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી ગેબશા પીરની દરગાહ સુધી રિવરફ્રન્ટની કામગીરી લંબાવવાનો મનપાએ નિર્ણય લીધો હતો. તેના માટે રૂ.50 કરોડ મંજૂર પણ કર્યા હતા. ટેન્ડર સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. શહેરમાં 50 ટકા ટ્રાફિક હળવો થશે સુરેન્દ્રનગર અને વઢવાણ આ બે જોડીયા શહેરના અંદાજે 4 હજારથી વધુ લોકો સુરેન્દ્રનગરથી વઢવાણ અને વઢવાણથી સુરેન્દ્રનગર આવતા જતા હોય છે. તે તમામ લોકોને હાલ ગેબનશા પીરથી બસ સ્ટેશન વાળા રોડ ઉપરથી જ આવવું પડે છે. ત્યારે આ રસ્તો બની ગયા બાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર 50 ટકાથી વધુ ટ્રાફિક ઘટી જશે. આ કામ પોરબંદરની બેગબોન કંપનીને આપવામાં આવ્યું છે. કંપની દ્વારા રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. 2.5 કિમીની લંબાઇ ધરાવતા આ રિવરફ્રન્ટમાં બંને બાજુ 7 મીટર પહોળો રસ્તો બનશે. રસ્તાની વચ્ચે ડિવાઇડર, લોકોને ચાલવા માટે ફૂટપાથ અને સ્ટ્રીટલાઇટો પણ નાખવામાં આવશે. કંપનીએ એક વર્ષમાં આ રસ્તાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. રિવરફ્રન્ટને કાંઇ પણ થશે તો 3 વર્ષ સુધીનો ગેરેન્ટી પિરિયડ રહેશે. દરમિયાન તમામ જવાબદારી કન્સ્ટ્રક્શન કંપનીની રહેશે. આ કામ પૂર્ણ થઇ ગયા બાદ ખાસ કરીને નદી કાંઠે આવેલા વિસ્તારનો પણ વિકાસ થશે. ચોમાસામાં ભોગાવો નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે લોકોને પાણી સામે રક્ષણ પણ મળશે. શહેરમાં 50 ટકા ટ્રાફિક હળવો થશે‎સુરેન્દ્રનગર અને વઢવાણ આ બે જોડીયા શહેરના અંદાજે 4 હજારથી‎વધુ લોકો સુરેન્દ્રનગરથી વઢવાણ અને વઢવાણથી સુરેન્દ્રનગર આવતા‎જતા હોય છે. તે તમામ લોકોને હાલ ગેબનશા પીરથી બસ સ્ટેશન‎વાળા રોડ ઉપરથી જ આવવું પડે છે. ત્યારે આ રસ્તો બની ગયા બાદ‎શહેરના મુખ્ય રસ્તા ઉપર 50 ટકાથી વધુ ટ્રાફિક ઘટી જશે.‎ જગ્યાએ 15 મીટર ખાડા કરીને ટેસ્ટિંગ કરાશેઅત્યારે રિવરફ્રન્ટમાં સોએલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. 3 જગ્યાએ 15 મીટર ઉંડા ખાડા કરવામાં આવશે.અને ત્યાંથી રેતી અને માટીના સેમ્પલ અમદાવાદ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. જેના આધારે જમીન કેટલી પોચી છે તે નક્કી થશે. ત્યાર બાદ રિવરફ્રન્ટ માટે કેટલી જાડી દીવાલ બનાવવી તે નક્કી કરવામાં આવશે. - દેવાંગભાઇ, સુપરવાઇઝર

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ‎:ભાજપના 6 આકરા નિયમથી 60% દાવેદારોની ટિકિટ કપાશે

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 491 લોકોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે 60 ટકા એટલે કે, 256 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે. તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે. જો તેનું સંપૂર્ણ પાલન થાય તો 80% લોકોને ઘરે બેસવાનો વારો આવશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 491 લોકોએ 52 બેઠક માટે ટિકિટની દાવેદારી કરી છે. ત્યારે ભાજપે 3 ટર્મ ચૂંટણી લડી ચૂકયા હોય, જન પ્રતિનિધી સાથે લોહીના સબંધ ધરાવતા હોય, એમપી, એમએલએ, નગરસેવકના પરિવારને પણ ટિકિટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે. આમ ભાજપના આ 6 આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આથી જ દાવેદારોમાં એક જ સવાલ છે કે આપણું પત્તુ કપાશે કે ટીકીટ મળશે. મહત્વની બાબત એ છે કે, કોર્પોરેટરના સગાને પણ ટિકિટ નહી આપવાના નિર્ણયથી 25 ટકા દાવેદારોની ટિકિટ કપાઇ શકે છે. જ્યારે 60 વર્ષની ઉંમરને કારણે 10 ટકા, ત્રીજીવાર લડવાને કારણે 15 ટકાની ટિકિટ કપાઇ જાય તેમ છે. 3 વર્ષથી વધુ સમયથી ભાજપના સભ્ય હોવા જોઇએ. આ નિયમોને કારણે હાલતો ભાજપના કાર્યકરો દોડતા થઇ ગયા છે. આટલુ જ નહી પરંતુ જો પોતાની ટીકીટ કપાય તો જે તાકાત વાળા દાવેદારો છે તેઓ અપક્ષ ઉમેદવારી કરવાના મુડમાં આવી ગયા છે. જ્યારે આ મહાનગર પાલિકામાં જે નવા ભળેલા 5 ગામડા છે તેમાં સરપંચ અને ભાજપના આગેવાનોએ પણ દાવેદારી કરી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો માટે પડકાર રૂપ બની શકે છે. બીજી બાજુ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાની રાહ જોઇ રહી છે. કારણ કે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો કયા ઉમેદવાર સક્ષમ છે તેનો અભ્યાસ કરીને કોંગ્રેસ અમુક સીટો ઉપર ઉમેદવાર જાહેર કરશે. જ્યારે આપે 24 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને બાકીના ઉમેદવારોની શોધ કરી રહી છે. ભાસ્કર એક્સપર્ટ: નવી વોર્ડ રચનાથી મતોનું વિભાજન થતાં લીડ ઘટી શકેમનપાની આ ચૂંટણીમાં નવી વોર્ડ રચના છે. વોર્ડમાં ઘણા વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજુ કે ગામડાના ઉમેદવારો પણ ભળ્યા છે. નવા ભળેલા વિસ્તારના લોકોના મત મેળવવા ભાજપ માટે પડકાર રૂપ રહેશે. બીજુ કે ઉમેદવારોને પ્રચાર માટે વધુ સમય નહી મળે આથી નવા મતદારો સુધી ઉમેદવારો પહોચી શકશે કે નહી તે પણ એક સવાલ છે. ભાજપમાં સૌથી વધુ નવા ઉમેદવાર આવશે તો મતદારો નવા ઉમેદવારને સ્વીકારે છે કે નહી તે મોટો સવાલ છે. બીજી બાજુ કોંગ્રેસ અને આપ બંનેએ આ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે, જેને કારણે મતોનું વિભાજન થશે અને તેને કારણે વિજેતા ઉમેદવારની થોડી લીડ ઘટી શકે છે. > કે.સી.શાહ, પૂર્વ સદસ્ય આપના ઉમેદવારો કોંગ્રેસના વધુ મત કાપશેવર્તમાન સમયે આપે જે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે જોતા અને વોર્ડનો અભ્યાસ કરતા આપના ઉમેદવારો કોંગ્રેસના વધુ મત કાપે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. જો આમ બને તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે. ફાઇનલ ઉમેદવારોને તૈયારીની ખાનગીમાં સૂચનાભાજપમાં ટીકીટ આપવાની કામગીરી ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે. બીજી બાજુ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ત્યારે ટીકીટની રાહ જોઇને બેઠેલા ઉમેદવારોમાંથી કોનુ પત્તુ કપાશે અને કોને ટિકિટ મળશે તેનું હજુ ભરેલુ નાળીયેર છે. કાર્ય કરો પણ અવઢવામાં મુકાઇ ગયા છે ત્યારે એક વાત એવી પણ આવે છે કે, ભાજપે જે લોકોને ટીકીટ આપવાની છે તેમને ખાનગીમાં તૈયારી કરવાની સુચના આપી દીધી છે. આવા કાર્યકરોએ પેપર વર્કની અંદરખાને તૈયારીઓ પણ કરવાની શરૂઆત કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am

ખાડા બન્યા જોખમી:જોરાવરનગરમાં રસ્તામાં કરેલો ખાડો જોખમી, 1 જ દિવસમાં 2 વ્યક્તિ પડ્યા

સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલા નાખવામાં આવેલી પાણીની લાઇન વારંવાર લીક થાય છે. જેના રિપેરીંગ પાછળ મનપાને મહિને 25 લાખથી વધુનો ખર્ચ થાય છે. લાઇન રિપેરીંગ માટે ખોદવામાં આવતા ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા લોકો માટે જોખમી બની જાય છે. ત્યારે જોરાવરનગર ધારાસભ્યની ઓફિસથી માત્ર 60 ફૂટ દૂર નવા જ બનાવેલા ડામરના રસ્તા ઉપર લાઇન રિપેરીંગ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં પડી જવાને કારણે 2 વ્યક્તિને ઇજા થઇ હતી. સુરેન્દ્રનગર મનપા દ્વારા વાળીનાથ સર્કલથી જોરાવરનગર તરફ જતા રતનપર ફાટક સુધી 15 બાઈક સ્લિપ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દિવસ પહેલા જ નવો ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે. નવો રસ્તો બનતા લોકોને રાહત થઇ હતી. પરંતુ પાણીની લાઇન લીક થતા રસ્તા ઉપર મોટો ખાડો કરીને લાઇન રિપેરીંગની કામગીરી તો કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય પુરાણ ન કરાતાઆ ખાડો લોકો માટે જોખમી બની ગયો અને 2 વ્યક્તિને ઇજા પણ થઇ હતી. એક ભાઇનું માથુ ફાટી ગયું ને એકને પગમાં ઇજા થઇ અમે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં બધા મિત્રો બેઠા હતા. રોડ ઉપર સવારે ખાડો ખેદેલો હતો. રાત્રીના સમયે લાઇટ ન હતી. ત્યારે કંસારા સમાજના વ્યકિત ખાડાને કારણે બાઇક સાથે પડી ગયા તેમને માથામાં ઇજા થઇ હતી લોહી નિકળતું હતું. અમે બાજુમાં આવેલી હોસ્પિટલે લઇ ગયા હતા. જેના થોડા સમય બાદ જ મંદિરના પૂજારી પણ પડી ગયા હતા. તેમને પગના ભાગે ઇજા થઇ હતી. - ધર્મેન્દ્રભાઈ રાઠોડ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 am