SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

જામનગરમાં ફૂડ-પાણીના સેમ્પલ લેવાયા:મહાનગરપાલિકાએ 60 સ્થળોએ ચેકિંગ કરી 60 નમૂના લીધા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત સપ્તાહ દરમિયાન શહેરના 60 જેટલા સ્થળોએ તપાસ કરીને ફૂડ અને પીવાના પાણીના કુલ 60 નમૂના લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત શહેરની જુદી જુદી દુકાનો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા 40 જેટલા એકમોમાં ચેકિંગ કરાયું હતું. અહીંથી ચીકી, તલ-રાજગરાના લાડુ, દેશી ગોળ, ફાફડા, જલેબી, ઓઈલ, બેસન અને ઊંધિયા સહિતના કુલ 40 ફૂડ નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ કામગીરી કમિશનર ડી.એન. મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સંભવિત રોગચાળાને ધ્યાનમાં રાખીને, શહેરમાં પીવાના પાણીનો વેપાર કરતા 20 જેટલા વિતરકોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીશ ચોકી, સુભાષ માર્કેટ, રણજીત રોડ, ગ્રેઇન માર્કેટ, હવાઈ ચોક જેવા વિવિધ વિસ્તારોમાંથી 20 લૂઝ ડ્રિંકિંગ વોટરના નમૂના લઈ ઢીચડા ખાતેની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, તા. 18/01/2026ના રોજ નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર હાજીશાહ ડાડાની જગ્યાએ યોજાનાર ઉર્ષના મેળામાં ન્યાઝના કાર્યક્રમમાં મીઠા ભાતનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જરૂરી હાઈજેનિક કન્ડિશન જાળવવા અંગેની સૂચનાઓ આપી નિરીક્ષણ કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:52 am

હરિદ્વારથી પવિત્ર ગંગા જળ લાવી તખ્તેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો:સનાતન ધર્મના પ્રચાર અને નશામુક્તિના સંદેશ સાથે ‘ભાગીરથ રન’નું ભાવનગરમાં સંપન્ન

નવયુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મનો પ્રચાર અને યુવા પેઢીને નશામુક્તિ તરફ વાળવાના ઉમદા હેતુ સાથે આયોજિત ભાગીરથ રન ઉત્સાહભેર ભાવનગર શહેરમાં પ્રવેશી છે, હરિદ્વારથી શરૂ થયેલી આ ભવ્ય રનનું અંતિમ ચરણ ભાવનગરના સુપ્રસિદ્ધ તખ્તેશ્વર મહાદેવ મંદિરે ગંગાજળાભિષેક સાથે સંપન્ન થઈ હતી, ​હરિદ્વારથી ખરેડી સુધીની 1400 કિ.મી.ની યાત્રા​આ આયોજનની શરૂઆત ગત તા.27/12/2025 ના રોજ હરિદ્વારથી થઈ હતી અંદાજે 1400 કિલોમીટર જેટલું અંતર રીલે રન દ્વારા કાપીને, દોડવીરો પવિત્ર ગંગાજળ લઈને તા.3/1/2026 ના રોજ જામનગર જિલ્લાના ખરેડી ગામે પહોંચ્યા હતા. ત્યાં ખરડેશ્વર મહાદેવને પ્રથમ ગંગાજળાભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ યાત્રાના બીજા ચરણમાં તા.17/1/2026 ના રોજ ખરેડી ગામથી 30 જેટલા ઉત્સાહી યુવાનો અને પોલીસ જવાનો રીલે રન દ્વારા ગંગાજળ લઈને ભાવનગર આવવા રવાના થયા હતા. આ માર્ગ ​ખરેડી, ગોંડલ અને ઢસામાં ભવ્ય સ્વાગત થયું હતું, ​સાંઢીડા મહાદેવ ખાતે ગંગાજળાભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ​સેંજળીયા, સોનગઢ, શિહોર અને વરતેજ થઈને આ દોડવીરો નારી ચોકડી મારફતે ભાવનગર શહેરમાં પ્રવેશ્યા છે, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ​સમગ્ર રૂટ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા દોડવીરોનું પુષ્પવર્ષા અને જયઘોષ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મની જ્યોત જલાવવી અને આજની યુવા પેઢી જે નશાના માર્ગે જઈ રહી છે, તેમને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવાનો છે, આ ભાગીરથ રનના દોડવીરો તખ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છે, જ્યાં પવિત્ર ગંગાજળ વડે મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો, નવયુવક ચેરીટેબલ ટ્રસ્ટના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:49 am

ભાવનગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:LCBએ આનંદનગર વિસ્તારમાંથી એક શખ્સને પકડ્યો

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સનું નામ સંજય ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની 48 બોટલ અને 4 બીયરના ટીન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 10,012 આંકવામાં આવી છે. આરોપી સંજય રાઠોડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:23 am

જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસે કોમ્બિંગ નાઇટ યોજી:વાહન ચેકિંગ, મેળાવડા પર કાર્યવાહી; 15,300નો દંડ વસૂલ્યો

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ રવિવારે મોડી સાંજે આ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મ લગાવનારા, ફેન્સી નંબર પ્લેટ ધરાવતા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોમ્બિંગ નાઇટ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો અને પ્રવેશદ્વાર પરના માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. ચાવડા, પીએસઆઇ એલ.બી. જાડેજા, પીએસઆઇ એમ.કે. બ્લોચ અને સર્વેલન્સ ટીમે પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 8થી વધુ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ રૂ. 15,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહનો પાર્ક કરીને મેળાવડો જમાવીને બેઠેલા લોકો સામે પણ પગલાં લીધા હતા. કેટલાક લોકો પોલીસને જોઈને સ્થળ પરથી ભાગી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:16 am

ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ મિશન કે નવી સ્કીમ? ગાઝા બોર્ડની મેમ્બરશિપ માટે 9000 કરોડની ઉઘરાણી!

(IMAGE - IANS) Trump Board of Peace Gaza: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા સંકટના ઉકેલ માટે પ્રસ્તાવિત કરવામાં આવેલું 'બોર્ડ ઓફ પીસ'(Board of Peace) અત્યારે વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રમ્પ જે રીતે ભારત, પાકિસ્તાન, ઇટાલી અને તૂર્કીયે જેવા દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે, તેનાથી એવી આશંકાઓ મજબૂત થઈ રહી છે કે આ માત્ર ગાઝા પૂરતી મર્યાદિત કોઈ પહેલ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને પડકારતી એક નવી વૈશ્વિક વ્યવસ્થા હોઈ શકે છે.

ગુજરાત સમાચાર 19 Jan 2026 11:09 am

ગાંધીનગર હાઈ-વે પર બે અકસ્માતમાં બેના મોત:ચિલોડા નજીક ડમ્પરની ટક્કરે યુવતી અને પ્રાંતિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે રિક્ષાચાલકે જીવ ગુમાવ્યો

ગાંધીનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોમાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મોટા ચિલોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં એક મહિલા એક્ટિવા ચાલક અને એક રિક્ષાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલની 38 વર્ષીય પુત્રી મોહિનીબેન રવિવારે સવારે એક્ટિવા લઈને માણસાના રંગપુર ગામે સધીમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે પર મોટા ચિલોડા માહી હોસ્પિટલ પાસે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. રસ્તા વચ્ચે પુત્રીની લાશ જોઈ પિતા સ્તબ્ધઆ અકસ્માત એટલો ભયાનક હતો કે મોહિનીબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પુત્રીના અકસ્માતની જાણ થતા જ પિતા મહેન્દ્રભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા વચ્ચે કપડાથી ઢાંકેલી પોતાની પુત્રીની લાશ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. રોડ ક્રેસ કરવા જતાં અજાણ્યા વાહને આધેડને અડફેટે લીધાજ્યારે બીજી ઘટનામાં નાના ચિલોડામાં રહેતા નિવૃત્ત આર્મીમેન જશવંતસિંહ બઘેલના 54 વર્ષિય નાના ભાઈ કમલેશભાઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.શનિવારે રાત્રે આશરે એકાદ વાગ્યાના અરસામાં કમલેશભાઈ પ્રાંતિયા ઓવરબ્રિજ પાસે જોગણી માતાના મંદિર સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને પૂરઝડપે ટક્કર મારતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવીજોકે શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. બાદમાં પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા ફોટો જોઈને પરિવારે લાશની ઓળખ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક કમલેશભાઈની પત્નીનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું. જ્યારે તેમના મોતના કારણે ત્રણ દીકરીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બંને અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 11:08 am

ભરૂચના બંબુસરમાં મદ્રસાનો વાર્ષિક ઇનામી જલ્સો:વિદ્યાર્થીઓએ ઇસ્લામી શિક્ષણ આધારિત કાર્યક્રમો રજૂ કર્યા, ઇનામો અપાયા

ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં મદ્રસા એ ગુલશને મદીના દ્વારા વાર્ષિક ઇનામી જલ્સાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મદ્રસાના વિદ્યાર્થીઓએ ઇસ્લામી શિક્ષણ આધારિત નાતશરીફ, કિરાત, બયાનાત અને સવાલ-જવાબ જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિતોએ આ રજૂઆતોને સરાહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે રુચિ વધારવાનો અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો. જલ્સામાં ફાઝિલે નોજવાન આલિમે ઝીશાન મુકર્રિર દ્વારા માર્ગદર્શનાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે ધાર્મિક શિક્ષણ, નૈતિકતા અને સમાજમાં સકારાત્મક મૂલ્યો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ખતીબો ઈમામ હઝરત અલ્લામા મૌલાના અલ્તાફ મિસ્બાહી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધાર્મિક શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મદ્રસાના શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતે, આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:57 am

અમદાવાદમાં પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે લીધા:ના ચાલવાના હોંશ કે ન સીધું ઉભું રહેવાની તાકાત, લથડિયા ખાતા ડ્રાઈવરને પકડી લોકોએ પોલીસને સોંપ્યો, VIDEO

અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચરણઘાણ વળી ગયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો, જેના આધારે M-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નશામાં ધૂત ચાલકે એક પછી એક 9 વાહનોને અડફેટે લીધાપ્રાપ્ત માહિતી મુજબ, નિતિન શાહ નામના કારચાલકે અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત 9 વાહનને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. કારચાલકને સીધા ઉભા રહેવાના પણ હોંશ ન હતાઅકસ્માત સર્જીને કારચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઉભા રહેવાના પણ હોંશ ન હતા. તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જે આધારે અંદાજ લગાવી શકાય છે કે, કારચલાક કેટલા દારૂના નશામાં હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને ફોન કર્યો હતો. જે બાદ પોલીસ આવીને લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી. M-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી. ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નહીંઅકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:53 am

છેલ્લા 3 દિવસમાં જણસીઓની બમ્પર આવક:રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને જીરુંની આવકમાં મોટો ઉછાળો, ખેડૂતોમાં ભારે ઉત્સાહ વચ્ચે હજારો વાહનોની લાંબી કતારો જોવા મળી

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જણસીઓની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. ખાસ કરીને કપાસ, મગફળી અને જીરું જેવી મુખ્ય જણસીઓની મબલખ આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે. ગત શુક્રવારથી સોમવાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો યાર્ડમાં દરરોજ 1000 થી વધુ વાહનોની આવક થઈ રહી છે, જે ખેડૂતોના ખેત-ઉત્પાદનોની મજબૂત આવક અને બજારની તેજી દર્શાવે છે. જોકે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈપણ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવાર 16/01/2026 ના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં અંદાજે 1050 થી વધુ વાહનોની આવક થઈ હતી. આ દિવસે કપાસની આવક 12000 મણ, સોયાબીન 2800 મણ, અળદ 800 મણ, ઘઉં 5000 મણ, ચણા 3800 મણ, મગ 2500 મણ અને લસણની 3400 મણ આવક નોંધાઈ હતી. આ ઉપરાંત સિંગફાડા 4200 મણ, સફેદ તલ 2800 મણ, જીરું 3900 મણ અને કાળા તલની 1000 મણ આવક થઈ હતી. શનિવાર 17/01/2026 ના રોજ પણ આવકનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો અને 1000 થી વધુ વાહનો યાર્ડમાં ઠલવાયા હતા. આ દિવસે કપાસની આવક 11000 મણ, સોયાબીન 4000 મણ, અળદ 2600 મણ અને ઘઉંની 6200 મણ આવક નોંધાઈ હતી. જ્યારે ચણાની આવક વધીને 5400 મણ, મગ 2500 મણ, લસણ 4900 મણ અને સિંગફાડાની આવક 6000 મણ સુધી પહોંચી હતી. સફેદ તલ અને જીરુંની આવક 2500-2500 મણ રહી હતી, જ્યારે કાળા તલ આવક 400 મણ નોંધાઈ હતી. સોમવાર 19/01/2026 ના રોજ યાર્ડમાં આવકનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને અંદાજે 1150 થી વધુ વાહનો નોંધાયા હતા. આ દિવસે મગફળીની રેકોર્ડબ્રેક 125000 મણ એટલે કે 84000 ગુણીની આવક થઈ હતી. કપાસની આવક ફરી 12000 મણ પર પહોંચી હતી. અન્ય જણસીઓમાં સોયાબીન 3000 મણ, અળદ 3600 મણ, ઘઉં 8000 મણ, ચણા 5500 મણ, મગ 2700 મણ અને લસણની 5000 મણ આવક નોંધાઈ હતી. સિંગફાડાની આવકમાં મોટો વધારો જોવા મળતા 12500 મણની આવક થઈ હતી. આ ઉપરાંત સફેદ તલ 2100 મણ, જીરું 5000 મણ અને કાળા તલની 2300 મણ આવક હતી. રાજકોટ યાર્ડમાં જણસીની આ મબલખ આવકને પગલે વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વાહનોને ક્રમવાર પ્રવેશ આપીને ઉતરાઈની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઈસ ચેરમેન તથા ડિરેક્ટર અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પોતાની જણસી વેચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં કપાસના ભાવ રૂ. 1300 થી રૂ. 1600 અને મગફળીના ભાવ રૂ. 1100 થી રૂ. 1450 ની આસપાસ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને મગફળીનાં ભાવો ટેકાના ભાવની નજીક છે. જેને લઈને ખેડૂતોમાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે. જો કે અન્ય જણસીઓમાં પ્રમાણમાં ઘણા ઓછા ભાવ મળતા હોવા છતાં રોકડની જરૂર હોવાથી જગતનો તાત પોતાનો માલ વેચવા મજબૂર હોય તેવુ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:34 am

ગોધરામાં 154 રક્તદાન, 93 થેલેસેમિયા તપાસ કરાઈ:શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિત્તે કેમ્પ યોજાયો

ગોધરા ખાતે અમર શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિત્તે એક મહા રક્તદાન અને થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 154 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે 93 લોકોની થેલેસેમિયા માટે તપાસ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમ ભારતીય સિંધુ સભા, ગોધરા દ્વારા અખંડ ભારતના ક્રાંતિવીર અમર શહીદ હેમુ કાલાણીના 82મા શહીદી દિનની સ્મૃતિમાં યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત આ શિબિરમાં શહીદને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાન શિબિર અને થેલેસેમિયા તપાસ કેમ્પમાં ભાગ લેનારને પ્રોત્સાહિત કર્યા હતા અને વીર શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શહીદ સ્મારક માટે એક લાખ રૂપિયાનું દાન પણ અર્પણ કર્યું હતું. આ બદલ ભારતીય સિંધુ સભા અને સિંધી સમાજ ગોધરા દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પંચમહાલ કલેક્ટરે પણ કેમ્પની મુલાકાત લીધી હતી અને સેવા કાર્ય કરનાર આયોજકો તેમજ રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી હતી. દેશની આઝાદી માટે માત્ર 19 વર્ષની વયે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ હેમુ કાલાણીના જીવન પ્રસંગો યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહે તે હેતુથી આ વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમુ કાલાણીનો જન્મ 23 માર્ચ 1923ના રોજ થયો હતો. તેમણે અંગ્રેજ સેનાની હથિયારોથી ભરેલી ટ્રેનને ઉથલાવવાની યોજના બનાવી હતી. આ દરમિયાન તેઓ પકડાઈ ગયા હતા. અંગ્રેજોની આકરી યાતનાઓ છતાં તેમણે પોતાના સાથીદારોના નામ જાહેર કર્યા નહોતા. પરિણામે, 21 જાન્યુઆરી 1943ના રોજ તેમણે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે ફાંસીના માંચડે ચઢી શહીદી વહોરી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ભારતીય સિંધુ સભાના હોદ્દેદારો સહિત સિંધી સમાજના તમામ આગેવાનો, નવયુવાનો અને યુવતીઓએ આ રક્તદાન રૂપી રાષ્ટ્રસેવામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:28 am

યુથ કોંગ્રેસનોની કારોબારી બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાવનગર શહેર જિલ્લા યુથ કોંગ્રેસ સજ્જ, આગામી દિવસોમાં ગામેગામ જઈ 'લોકસંપર્ક અભિયાન' કરવાનો નિર્ણય

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,આ બેઠકમાં ભાવનગરના જિલ્લાઓના તાલુકાઓમાંથી યુવાનો જોડાયા હતા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ચંદ્રકલા નાગોરી અને રુકમુદિનભાઈ માથુકીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં આગામી ચૂંટણીઓમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટેની ચોકસાઈપૂર્વકની વ્યૂહરચના ઘડવામાં આવી હતી,ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અર્ષમાનખાન જે. બલોચ અને શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજાએ તમામ કાર્યકરોને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં ભાવનગરના રાજકારણના અનુભવી અને યુવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સુરેશભાઈ સોલંકી પ્રભારી, ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ, રાજપાલસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ, યુથ કોંગ્રેસ, લાલભા ગોહિલ પ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ, બળદેવભાઈ સોલંકી વિરોધ પક્ષના નેતા, ભાવનગર જિલ્લા પંચાયત આ તમામ મહાનુભાવોએ એકસૂરે જણાવ્યું હતું કે યુવાનો જ પરિવર્તન લાવી શકે છે અને આ વખતે ભાવનગરની જનતા પરિવર્તન માટે તૈયાર છે, જિલ્લા યુથ પ્રમુખ અર્ષમાનખાન બલોચે પોતાના વક્તવ્યમાં સત્તાધારી પક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, યુવાનો હવે જાગી ગયા છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે યુથ કોંગ્રેસ આરપારની લડાઈ લડશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દરેક બૂથ પર યુવા કોંગ્રેસનો સૈનિક તૈનાત રહેશે અને જનતાના અવાજને બુલંદ કરશે. અમારી લડાઈ સત્તા માટે નહીં પણ સત્ય અને સામાન્ય માણસના હક માટે છે, આ કારોબારીમાં ભાવનગર જિલ્લા અને શહેરના તમામ વિધાનસભા પ્રમુખો, તાલુકા પ્રમુખો, વોર્ડ પ્રમુખો અને તમામ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બેઠકમાં દરેક તાલુકા અને વોર્ડ વાઈઝ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં ગામેગામ જઈ 'લોકસંપર્ક અભિયાન' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:16 am

‘અમે મફતમાં ગેનીબેનનો વરઘોડો કાઢ્યો ને એ એમને જ સામે:પાટણમાં ડીજે સાઉન્ડ સંચાલકોનો બૂમરાણ; ડીજે બંધ કરવાનો નિર્ણય રાજકીય ષડયંત્ર, કોંગ્રેસના બહિષ્કારની ચીમકી

પાટણ ખાતે તાજેતરમાં ડીજે સાઉન્ડ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામાજિક સુધારાના નામે ડીજે બંધ કરવાના લેવાયેલા નિર્ણયો સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો છે, જેના કારણે હજારો પરિવારોની રોજીરોટી સંકટમાં મુકાઈ છે. રાજકારણના કારણે વ્યવસાયને નુકસાનનો આક્ષેપ બેઠકમાં ઉપસ્થિત વક્તાઓએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના હિતના નામે ડીજે પર પ્રતિબંધ લાદવો એ માત્ર રાજકીય સ્ટંટ છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું 5000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દેવાદાર બની જાય? સાઉન્ડ સંચાલકોના મતે, આ વ્યવસાય સાથે જોડાયેલા 99% લોકો ઠાકોર સમાજના જ છે, જ્યારે અન્ય જ્ઞાતિઓનો હિસ્સો માત્ર 5% જેટલો છે. આમ, આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે. કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોર સામે રોષ આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ અને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું કે, કોંગ્રેસ પોતે ડૂબી રહી છે અને હવે ઠાકોર સમાજને પણ ડૂબાડવા માંગે છે. ગેનીબેન ઠાકોર પર નિશાન સાધતા સંચાલકોએ યાદ અપાવ્યું હતું કે, ડીસામાં જે ભાઈએ ગેનીબેનનું વરઘોડું મફતમાં કાઢી આપ્યું હતું, આજે તેઓ જ આ વ્યવસાયના વિરોધમાં ઉભા છે. આ ઘટનાક્રમને લઈને સાઉન્ડ સંચાલકોએ આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને વોટ ન આપવાનું આહવાન કર્યું છે. સેવાકીય કાર્યોની અવગણનાનો સુર સાઉન્ડ માલિકોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, તેઓ માત્ર ધંધો નથી કરતા, પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવે છે. અનાથ દીકરીઓના લગ્નમાં મફત સેવા આપવામાં આવે છે. સામાન્ય પરિવારો માટે રાહત દરે ડીજે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમૂહ લગ્નોમાં પણ આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હંમેશા મદદરૂપ બને છે. એકતા અને લડતનો નિર્ધાર બેઠકના અંતે તમામ સાઉન્ડ સંચાલકોએ એકસૂરે આ રાજકીય ષડયંત્ર સામે લડત આપવાનો નિર્ધાર કર્યો હતો. તેઓએ સ્પષ્ટ કર્યું કે, જો વ્યવસાય પરના આવા અન્યાયી પ્રતિબંધો પાછા ખેંચવામાં નહીં આવે, તો આવનારા સમયમાં તેનું પરિણામ રાજકીય પક્ષોએ ભોગવવું પડશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:15 am

જાહેર રોડ પર ગંદકી કરનાર 9 દુકાન સીલ:ગુરુકુળ, ઘાટલોડિયા, વસ્ત્રાપુરના વેપારીઓ સામે કાર્યવાહી, 145 દુકાન-રેસ્ટોરન્ટને નોટિસ આપી, સવાર-સાંજ સ્પે.સ્કવોડ કાર્યરત

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે ત્યારે શહેરમાં લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. કચરો ફેંકી અને અન્ય રીતે ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના ગુરુકુળ રોડ, ઘાટલોડિયા સુરધારા સર્કલ, વસ્ત્રાપુર સહિત અલગ અલગ જગ્યા ઉપર ગંદકી કરનાર 9 દુકાનો અને રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહીઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે. 145 દુકાનો-રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ કરી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્તછેલ્લા બે દિવસમાં કુલ 100 જેટલી જગ્યા ઉપર તપાસ કરી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 145 દુકાનો અને રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ કરી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. 1.42 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સવાર-સાંજ સ્પે. સ્કવોડ કાર્યરતજાહેર રોડ પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો /શખસો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. સવાર અને સાંજ સ્પે. સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 10:01 am

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાનપુરા ગામે ખાટલા પરિષદમાં ઉપસ્થિત રહ્યા:શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો, જન્મદિવસ ઉજવ્યો

બનાસકાંઠા જિલ્લાના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું હતું. આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ખાટલા પરિષદ પૂર્વે, રાજ્યપાલે કાનપુરા ગામે અનુસૂચિત જનજાતિના અગ્રણી મંછાભાઈ માંસાના ઘરે પરિવારજનો સાથે ભોજન પણ લીધું હતું. આ ઉપરાંત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાનો જન્મદિવસ કાનપુરા ગામમાં ખેડૂત પરિવારોની વચ્ચે ઉજવીને ધન્યતા અનુભવી હતી. ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિના કોઈનો ઉદ્ધાર શક્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ગુજરાતના ગામડાઓમાં જઈને ખેડૂત ભાઈઓ સાથે સમય વિતાવે છે અને સમાજ ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે ગામના દરેક દીકરા અને દીકરીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના શ્રેષ્ઠ શિક્ષણ મળવું જોઈએ. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે. વ્યસનમુક્તિ અંગે રાજ્યપાલે જણાવ્યું કે વ્યસનો શરીરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને મહેનતથી કમાયેલા પૈસા સારવારમાં વેડફાઈ જાય છે. તેમણે સ્પષ્ટ અપીલ કરી કે વ્યસન છોડીને અમૂલ્ય જિંદગી બચાવો. સ્વચ્છતા અંગે રાજ્યપાલે મહાત્મા ગાંધીજીના વિચારોને યાદ કરીને જણાવ્યું કે ઘરનું આંગણું એટલું સ્વચ્છ હોવું જોઈએ કે તેને જોઈને ભક્તિ કરવાનું મન થાય. સ્વચ્છ અને સુંદર ગામ દરેકને ગમે છે. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 60 મિનિટ ગામની સ્વચ્છતા માટે ફાળવો. વૃક્ષારોપણ અંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગામમાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવો. દીકરા કે દીકરીના જન્મદિન નિમિત્તે વૃક્ષ વાવી ત્રણ વર્ષ સુધી તેની યોગ્ય માવજત કરો. ત્રણ વર્ષ બાદ આ વૃક્ષ આપણને સંભાળશે. તેમણે ભારતીય જાતિના વૃક્ષો વાવી ગામને લીલુંછમ બનાવવાની અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આદિવાસી સમાજ પરંપરાગત રીતે પવિત્રતાથી ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતો પોતાની આવક વધારી શકે છે તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી શકે છે. આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી આ દિશામાં આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. પશુપાલન ક્ષેત્ર અંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગાયની નસલ સુધારવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. વિદેશોમાં ક્રોસ બ્રિડિંગ દ્વારા દૂધ ઉત્પાદન વધારવામાં આવે છે, ત્યારે આપણા દેશમાં પણ સેક્સ સોર્ટેડ સીમન જેવી સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ અપનાવી શકાય છે. આ પદ્ધતિથી માત્ર રૂ. 50 જેટલા નજીવા ખર્ચે ગાય વાછરડી જ આપે છે અને પશુઓની ઓલાદમાં ગુણવત્તાત્મક સુધારો શક્ય બને છે તેમ તેમણે જણાવ્યું હતું ખાટલા પરિષદ પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાનપુરા ગામે અનુસૂચિત જન જાતિના અગ્રણી મંછાભાઈ ભુતાભાઈ માંસાના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનો સાથે મકાઈનો રોટલો, ઘઉંની રોટલી, ફોતરાં વગરની મગની દાળ, બટાકા-ફુલાવરની સબ્જી તથા મેથીની સબ્જી સહિતનું દેશી ભોજન ગ્રહણ કર્યું હતું. આ દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓ હસમુખભાઈ પટેલ, જીતુભાઇ પટેલ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:26 am

રાજ્યપાલની સોમનાથ મુલાકાત:પોલીસ એલર્ટ- નાઈટ કોમ્બિંગ, વાહન ચેકિંગ સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સોમનાથ મુલાકાતને પગલે ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગીર સોમનાથ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. રાજ્યપાલની મુલાકાત પૂર્વે જિલ્લાના વેરાવળ, પ્રભાસ પાટણ, તાલાલા અને સુત્રાપાડા વિસ્તારોમાં પોલીસે રાત્રિ દરમિયાન નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમો તૈનાત કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સુત્રાપાડા-કોડીનાર રોડ પરથી પસાર થતા વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. વાહનચાલકોના દસ્તાવેજો, ઓળખપત્રો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. રાત્રિના સમયે સુત્રાપાડા PSI લોહના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી. રાજ્યપાલની મુલાકાત દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સતત પેટ્રોલિંગ, પોઈન્ટ ડ્યૂટી અને નજર રાખવાની વ્યવસ્થા ગોઠવી છે. ગીર સોમનાથ પોલીસે સામાન્ય નાગરિકોને પણ સહકાર આપવા અને ચેકિંગ દરમિયાન જરૂરી માહિતી પૂરી પાડવા અપીલ કરી છે. સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખીને રાજ્યપાલની સોમનાથ મુલાકાતને સલામત અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેઓ ઉમરેઠી ગામે રાત્રિ રોકાણ કરીને પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે ખેડૂતો સાથે પરિસંવાદ પણ કરશે. રાજ્યપાલની બે દિવસીય મુલાકાતને લઈને જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:17 am

કૂવામાં ખાબકેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ:પોરબંદરના રાતીયા ગામે વન વિભાગે ભારે જહેમત બાદ જીવ બચાવ્યો

પોરબંદર તાલુકાના રાતીયા ગામે આજે વહેલી સવારે એક દીપડાનું બચ્ચું વાડીના કુવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલા કુવામાં દીપડાનું બચ્ચું અકસ્માતે ખાબક્યું હતું. કુવામાંથી વન્યજીવનો અવાજ આવતા વાડી માલિકે તપાસ કરી હતી, જેમાં દીપડાનું બચ્ચું હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગ (ડિવિઝન) ની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુવો ઊંડો હોવા છતાં, વન વિભાગના કર્મચારીઓએ કુશળતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાના બચ્ચાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આ સફળ રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ પણ રાહત અનુભવી હતી. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં વન્યપ્રાણી જોવા મળે અથવા મુશ્કેલીમાં હોય, તો ગભરાવાને બદલે અથવા સ્વયં રેસ્ક્યુ કરવાને બદલે તુરંત વન વિભાગનો સંપર્ક કરવો. વન્યપ્રાણીના રેસ્ક્યુ સંબંધિત પૂછપરછ કે જાણકારી માટે વન વિભાગના નંબર ૦૨૮૬-૨૨૫૨૪૧૩ અથવા ટોલ ફ્રી નંબર ૧૯૨૬ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:10 am

ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી:5થી વધુને દાઝી ગયેલી હાલતમાં રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડાયા, ફાયરની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ વ્યક્તિઓ દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યો છે. પ્લાસ્ટિકનો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુંઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગના 8 ટેન્કર આગ બુઝાવવામાં લાગ્યાઆગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી. કુલ 8થી વધુ ફાયર ટેન્કરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. ફાયરના જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 5 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી હોસ્પિટલમાં ખસેડાયાઆ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આગનું કારણ અકબંધપ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:09 am

વેરાવળ મચ્છીમાર્કેટમાં મહિલાઓની વ્યાપક રજૂઆત:ધારાસભ્યએ ગંદકી, સફાઈ, લાઈટ, શૌચાલય મુદ્દે તાત્કાલિક ઉકેલ સૂચવ્યો

વેરાવળ ખાતે આજે નગરપાલિકા સંબંધિત પ્રશ્નોના નિરાકરણ કેમ્પ અંતર્ગત સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાથે વેરાવળ શહેરના ખારવા વાડ વિસ્તારમાં આવેલ મચ્છીમાર્કેટની સ્થળ મુલાકાત લીધી હતી. મચ્છીમાર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી વિવિધ મૂળભૂત સમસ્યાઓને લઈ સ્થાનિક વેપારી બહેનો દ્વારા ધારાસભ્ય સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી. મચ્છીમાર્કેટમાં ગંદકીનો ભરડો, નિયમિત સફાઈના અભાવ, રાત્રિ દરમિયાન પૂરતા પ્રકાશની વ્યવસ્થા ન હોવા, તેમજ જાહેર શૌચાલયની સુવિધા અપૂરતી હોવા જેવા પ્રશ્નો બહેનો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. રોજગાર માટે આ મચ્છીમાર્કેટ પર આધારિત બહેનોને આ સમસ્યાઓને કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી હોવાની વાત પણ રજૂ કરવામાં આવી હતી. બહેનોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ સ્થળ પર જ સંબંધિત નગરપાલિકા તથા વિભાગીય અધિકારીઓને ટેલીફોનિક રીતે સંપર્ક કરી તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સાથે જ મચ્છીમાર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા, લાઈટિંગ અને શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધારાસભ્ય ચુડાસમાએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓ અંગે આગામી દિવસોમાં જવાબદાર નગરપાલિકા તંત્રના સત્તાધીશો સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે. જરૂર જણાય તો પ્રાદેશિક કમિશનર તથા કમિશનર સુધી પણ મામલો લઈ જઈ અસરકારક કાર્યવાહી કરાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સમયમર્યાદામાં આ સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો વિધાનસભાના ફ્લોર પર આ મુદ્દાઓ ઉઠાવી ઉચ્ચ કક્ષાએ પ્રશ્નો કરવામાં આવશે. મચ્છીમાર્કેટમાં કામ કરતી બહેનોને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે સાથે ઊભો રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. ---

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:09 am

ડાંગમાં વન વિભાગની વાંસ કૌશલ્યવર્ધન પહેલ શરૂ:સ્થાનિક આદિવાસીઓને નવી રોજગારી મળતાં આત્મનિર્ભર બન્યા

ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા વાંસ આધારિત રોજગારી ઊભી કરવાની પહેલ શરૂ કરાઈ છે. ‘ગ્રીન ગોલ્ડ’ તરીકે ઓળખાતા વાંસના ઉછેર અને તેના પર આધારિત ઉદ્યોગોની ઇકોસિસ્ટમ વિકસાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ પહેલ ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહી છે.વાંસને વૃક્ષની વ્યાખ્યામાંથી બહાર કાઢવામાં આવતા કાયદાકીય અડચણો દૂર થઈ છે, જેના પરિણામે દેશમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’ને નવી ગતિ મળી છે. આ અનુસંધાને, આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત કૌશલ્ય વિકાસ માટે ૨૬ મે ૨૦૨૨ના રોજ ડેડીયાપાડા, નેત્રંગ, વઘઇ અને કેવડી ખાતે વર્ચુઅલ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલના ભાગરૂપે, ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ વઘઇ સરકારી સોમીલ ખાતે એક વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર કાર્યરત છે. અહીં કોટવાળીયા આદિમ જૂથ સહિત અન્ય આદિવાસી સમુદાયના લોકોને વાંસમાંથી વિવિધ ઉપયોગી અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ બનાવવાની વ્યવહારૂ તાલીમ આપવામાં આવે છે. તાલીમ કાર્યક્રમ હેઠળ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પાંચ બેચમાં કુલ ૧૬૬ તાલીમાર્થીઓને તાલીમ અપાઈ હતી. ત્યારબાદ, વર્ષ ૨૦૨૩-૨૪માં બે બેચમાં ૪૫ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી. આમ, અત્યાર સુધીમાં કુલ ૨૧૧ લોકોને વાંસમાંથી અંદાજે ૫૦ પ્રકારની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કૌશલ્ય તાલીમ પૂરી પાડવામાં આવી છે. તાલીમ પ્રાપ્ત કરનાર ૫૦ સભ્યો દ્વારા ‘પ્રકૃતિ વાંસ કામદાર મજૂર સહકારી મંડળી લિ., વઘઇ’નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં, આ મંડળી સ્વખર્ચે વાંસ તથા અન્ય કાચા માલની ખરીદી કરીને વઘઇ સોમીલ ખાતે શેડ ભાડે રાખી ઉત્પાદન પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. મંડળી સરકારી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત અને હોલસેલ ઓર્ડર મેળવી વાંસની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે.મંડળી દ્વારા બેબી ચેર, પાટલા, સોફા, પેન્સિલ બોક્સ, મોબાઇલ સ્ટેન્ડ જેવી અનેક વાંસ બનાવટો તૈયાર કરવામાં આવે છે. આ ઉત્પાદનોનું વેચાણ વઘઇ બોટાનિકલ ગાર્ડન સ્થિત બામ્બુ હાટ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, સ્વદેશી મેળા તથા ડાંગ દરબાર સહિત વિવિધ પ્રવાસન સ્થળોએ થાય છે. આ તાલીમ અને રોજગારીથી લાભાર્થીઓને સ્થિર આવક પ્રાપ્ત થઈ રહી છે.વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર સ્થાનિક આદિવાસી કારીગરો માટે આજીવિકાનો પ્રેરણાદાયી સ્રોત બન્યું છે. આ કેન્દ્ર વાંસ આધારિત ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે એક મહત્વપૂર્ણ ગ્રોથ સેન્ટર તરીકે કાર્ય કરી રહ્યું છે અને ‘વોકલ ફોર લોકલ’ના ધ્યેયને સાકાર કરતું સફળ મોડેલ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:05 am

હિંમતનગર ભારત વિકાસ પરિષદનો લગ્ન ગીતોત્સવ યોજાયો:23 મહિલા મંડળોએ ભાગ લીધો, વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો અને ફટાણા રજૂ કર્યા

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલેશ્વર ખાતે આવેલા શ્રીમદ જેસીંગબાપા વાનપ્રસ્થ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના 23 મહિલા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંડળોએ લગ્નના વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો અને ફટાણા રજૂ કર્યા હતા. ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. રવિવારે યોજાયેલા આ લગ્ન ગીતોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે થયો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર 23 મહિલા મંડળોએ લગ્નના જુદા જુદા પ્રસંગોને જીવંત કર્યા હતા. જેમાં સોની સમાજ ગ્રુપે સગાઈ, બ્રહ્મ સમાજે કંકોત્રી, શિવભક્તિ મહિલા મંડળે લગ્ન આમંત્રણ, સખી મંડળે મહેંદી, મલ્લીનાથ ગ્રુપે ગણેશ સ્થાપના, સહિયર ગ્રુપે ગોતીડો, તુલસી ગ્રુપે મંડપ મુહૂર્ત, અત્રિ ગ્રુપે મોસાળું, ભારત વિકાસ પરિષદ બહેનોના ગ્રુપે પીઠી, હરિ પ્રિયા ગ્રુપે ગ્રહશાંતિ, મહાકાલી ભજન મંડળે મીંઢળ, અક્ષર ગ્રુપે ફટાણા, શક્તિ મંડળ પોલોગ્રાઉન્ડે જાન ઉઘલાવો, આદિનાથ મંડળે જાન આગમન, મારુતિ મહિલા મંડળે પોંખણા, ભારત વિકાસ કારોબારી ભાઈઓ-બહેનો ગ્રુપે ફટાણા, ભગિની સમાજે કન્યા આગમન, રાધે કૃષ્ણ ગ્રુપે હસ્તમેળાપ, મોઢેશ્વરી ગ્રુપે મંગલાષ્ટક, ગોપી મંડળે મંગળ ફેરા, માઈ બહુચર મંડળે સાંજી, પાઠ ગ્રુપે કંસાર અને જય ગણેશ ગ્રુપે કન્યા વિદાયના ગીતો અને ફટાણા રજૂ કર્યા હતા. નોંધનીય છે કે, ગત વર્ષે આ લગ્ન ગીતોત્સવમાં 15 મહિલા મંડળોએ ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે તેમાં વધારો થઈને 23 મહિલા મંડળોએ ભાગ લીધો હતો, જે કાર્યક્રમની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, મંત્રી પરિન શાહ, ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, ખજાનચી આકાશ શાહ, મહિલા સંયોજક અરુણાબેન કડિયા, સહમંત્રી અર્ચનાબેન ભટ્ટ, કલ્પેશભાઈ ત્રિવેદી અને મુકેશ મોદી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન ગીતોત્સવના દાતા રાકેશભાઈ સોની અને મનીષભાઈ કિમતાની હતા. અતિથિ વિશેષ તરીકે નિકેશભાઈ સંખેસરા, ડી.પી. પટેલ, રાજુભાઈ અમીન અને હર્ષભાઈ ગાંધી હાજર રહ્યા હતા અને ભાગ લેનાર મહિલા મંડળોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને શહેરીજનો હાજર રહીને ઉત્સાહમાં સહભાગી થયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:03 am

ગોધરા સિગ્નલ ફળીયા રોડ પર કચરાના ઢગલા હટાવાયા:સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકાએ સફાઈ અભિયાન હાથ ધર્યું

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના સિગ્નલ ફળીયા રોડ પરથી લાંબા સમયથી જમા થયેલા કચરાના ઢગલા હટાવવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકા તંત્ર સક્રિય બન્યું હતું. આ વિસ્તાર ગોધરાના વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. અહીં કચરાના ગંજ ખડકાવાને કારણે આસપાસના રહીશો તેમજ વાહનચાલકો ગંદકી અને દુર્ગંધથી ભારે પરેશાન હતા. સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ગોધરા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે રોગચાળો ફેલાવવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈને નગરપાલિકાના સફાઈ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સિગ્નલ ફળીયા રોડ પર JCB મશીન અને ટ્રેક્ટરોની મદદથી કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલા આ સફાઈ અભિયાનને કારણે સમગ્ર વિસ્તારને કચરામુક્ત કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 9:00 am

વલસાડમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા:પરિવારની દીકરીની છેડતી ન કરવા બાબતે સમજાવતા શખ્સે ઢીમ ઢાળી દીધું

વલસાડ તાલુકામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાંકલ ગામના ઉતારા ફળિયામાં મરલા ગામના યુવાન કૃણાલ પટેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક કૃણાલ પટેલના પરિવારની એક યુવતીને આરોપી યુવક લાંબા સમયથી છેડતી કરતો હતો. આ બાબતે સમજાવવા માટે કૃણાલ પટેલ આરોપી પાસે ગયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હુમલાખોર યુવકે કૃણાલ પર ચપ્પુ વડે ગંભીર ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા કૃણાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ, જિલ્લા એલસીબી અને ડી.વાય.એસ.પી. એ.કે. વર્મા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં ગામ લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પરિવારજનોના નિવેદન મેળવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આરોપીને યુવતીની છેડતી ન કરવા બાબતે અનેક વખત સમજાવટ અને મારામારી થઈ ચૂકી હતી. હાલ વલસાડ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:39 am

વડોદરામાં સચેત-પરંપરા ટંડનના કોન્સર્ટ સાથે આજથી WPL શરૂ થશે:આજે પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે, સ્મૃતિ મંધાનાને રમતી જોવા ચાહકોમાં ભારે ઉત્સાહ

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વુમન્સ પ્રીમિયર લીગની મેચો શરૂ થશે. આજે પહેલી મેચ સાંજે 7:30 વાગ્યાથી ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલી મેચમાં સચેત અને પરંપરા ટંડનનો ખાસ કાર્યક્રમ યોજાશે. સાથે જ મેચ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે. 3 ફેબ્રુઆરીના એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચમાં પણ સામેલ છે. આ તમામ મેચ રમવા માટે ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ટીમો વડોદરા આવી ગઈ છે. યુપી વોરિયર્સની ટીમ આજે વડોદરા આવશે. વડોદરામાં યોજાનાર WPLની મેચોને લઈને કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રહેશે અને ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વુમન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી છે. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાશે. વિમેન્સ પ્રિમિયર લીગની કઈ મેચ દરમિયાન કયા કલાકાર આવશે? 19 જાન્યુઆરી GG vs RCB (સચેત-પરંપરા ટંડન) 20 જાન્યુઆરી DC vs MI (બ્રાન્સ બેન્ડ) 22 જાન્યુઆરી GG vs UPW (ડીજે NYK) 24 જાન્યુઆરી RCB vs DC (સાન્યા મલ્હોત્રા) 26 જાન્યુઆરી RCB vs MI (ઝાકીર ખાન અને ગાયકવૃંદ ડ્રોન શો (પ્રજાસત્તાક દિવસ થીમ) 27 જાન્યુઆરી GG vs DC (ડ્રોન શો) 29 જાન્યુઆરી UPW vs RCB (અર્જુન કાનૂનગો) 30 જાન્યુઆરી GG vs MI (ભૂમિ ત્રિવેદી) 1 ફેબ્રુઆરી DC vs UPW (ફાલ્ગુની પાઠક) 3 ફેબ્રુઆરી એલિમિનેટર (તારા સુતરિયા) 5 ફેબ્રુઆરી ફાઇનલ (તલવિંદર)

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 8:19 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગટર અને પાણીની લાઇનો આડેધડ ખોદતા ભાવનગર બન્યું ખાડાનગર

ભાવનગરને ખાડાઓએ શહેરને બાનમાં લીધું હોય એવું લાગી રહ્યું છે. મોટાભાગના વિસ્તારમાં રસ્તા ખોદી નાખવામાં આવેલ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના અપડેટેશન માટેનું કામ ચાલી રહ્યું છે તેમ જાણવા મળેલ છે અમુક વિસ્તારમાં પાણીની લાઈન પણ નાખવામાં આવેલ છે. તો આવનારા દિવસોમાં ગટર ચોકઅપ થઇ જાય છે તે સમસ્યાતો તો કદાચ હલ થશે પણ હાલમાં ખોદી નાખેલા રસ્તાઓથી વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે અને અકસ્માતની ભીતિ જાગી છે. આ ઉપરાંત અત્યારે પાણીની નવી લાઈન અમુક વિસ્તારમાં નાખવામાં આવે છે તો પાણીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે ? અને આજે રસ્તા બનાવવામાં આવે છે તે હવે ફરીવાર વારંવાર બનાવવામાં તો નહીં આવે ને ? આ બધા પ્રશ્નોનો ઉકેલ પ્રજા માગી રહી છે. બાકી હાલમાં તો રસ્તાઓ આડેધડ ખોદી નાખવામાં આવતા જ્યાં જ્યાં સારા અને નવા રસ્તા હતા તે પણ ખોદાઇ ગયા છે. નવી લાઇનો કરવાને લીધે શહેરના મધ્ય વિસ્તારોમાં કેટલાય માર્ગો બંધ જેવી હાલતમાં છે. રૂપાણીથી આતાભાઇ અને સંસ્કાર મંડળ તેમજ તખ્તેશ્વર પોલીસ ચોકીથી ગુરૂદ્વારા જેવા રસ્તા બંધ એ અર્ધ બંધ જેવી હાલતમાં છે. સુભાષનગર સર્કલથી દેરાસર થઇ શિવાજી સર્કલ જતો રસ્તો પણ જર્જરિત છે. જ્યારે શહેર ફરતી સડકમાં દેવરાજનગર અને ભરતનગર જતો રસ્તો એક તરફથી સાવ બિસ્માર થઇ ગયો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:34 am

એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું:લાઈફ સાયન્સ ભવન દ્વારા નવતર સંશોધન અંતર્ગત યોજાયેલી પરિષદ

MKB યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન દ્વારા અટલ ઓડિટોરિયમ ખાતે “Panorama of Life Sciences” શીર્ષક હેઠળ એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ જીવ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં થયેલા આધુનિક વિકાસ, ઉદભવતા સંશોધન પ્રવાહો તથા આંતરવિષયક અભિગમોને એક વ્યાપક મંચ પર રજૂ કરવાનો હતો. ઉદ્ઘાટન સત્રના મુખ્ય મહેમાન ડૉ. કન્નન શ્રીનિવાસન ડાયરેક્ટર -CSMCRI ભાવનગર, વિદ્વાન વક્તાઓ ડૉ. વૈભવ મંત્રી, ડૉ. સુહાસ વ્યાસ, પ્રવીણ કુમાર તથા કૌશિક ઘેલાણીએ પોતાના અનુભવ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કર્યા. તેમના વ્યાખ્યાનોએ જીવવિજ્ઞાનના વિવિધ આયામોને આવરી લીધા. પરિષદમાં વન્યજીવનથી લઈને સિંગલ સેલ મિકેનિઝમ સુધીના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ, જેના કારણે વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રેરણા મળી. આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:32 am

ભાવનગર સરકારી ઈજનેરી કોલેજની ઝળહળતી સફળતા:રોબોફેસ્ટ ગુજરાતમાં GECની બે ટીમે જીત્યા રૂપિયા 5 લાખના ઇનામ

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા ROBOFEST-GUJARAT 5.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાઉન્ડમાં યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના બીજા રાઉન્ડનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં સિનિયર લેવલમાં સરકારી ઈજનેરી કોલેજ (GEC) ભાવનગરના વિદ્યાર્થીઓની બે ટીમ અનુક્રમે ઓટોનોમસ મેઝ સોલ્વર રોબોટ તથા ઓટોનોમસ અંડરવોટર વેહિકલ કેટેગરીમાં અંતિમ રાઉન્ડ (Grand Finale)માં ભાગ લેવા માટે પસંદ થઇ છે. આ બે ટીમ અંતિમ રાઉન્ડ માટે કવોલિફાય થઇ અને તેના વિદ્યાર્થીઓએ કુલ પાંચ લાખ નું રોકડ ઈનામ જીત્યું છે. સંસ્થાના કોમ્પ્યુટર ઈજનેરી વિભાગના પ્રો. ચિન્મયભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જ્યોતિર્મય દેકા અને માહી દેસાઈ, કોમ્પ્યુટર ઈજનેરી વિદ્યાશાખાના હરદત્તસિંહ ઝાલા અને મિકેનિકલ ઈજનેરી વિદ્યાશાખાના બલદેવ મકવાણાની ટીમ ઓટોનોમસ મેઝ સોલ્વર રોબોટ કેટેગરીમાં તથા ઓટોનોમસ અંડરવોટર વેહિકલ કેટેગરીમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિદ્યાશાખાના પ્રો. પ્રતીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી ધર્મી ભાવસાર અને માનસી તેલી, કોમ્પ્યુટર વિભાગમાંથી જય સોલા અને મિકેનિકલ વિભાગમાંથી ધ્રુવ મકવાણાની ટીમ અંતિમ રાઉન્ડમાં પસંદ થઈ છે. કેવી રીતે સ્પર્ધામાં કસોટી થાય છે ?મેઝ સોલ્વર રોબોટ કેટેગરીમાં ટિમ દ્વારા તૈયાર કરેલ રોબોટને એક મુશ્કેલ મેઝ (ભૂલભૂલામણી)માં મુકવામાં આવે છે અને રોબોટને કોઈ પણ જાતની બાહ્ય મદદ વિના એ મેઝમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધીને બહાર આવી જવાનું હોઈ છે તથા બહાર આવવા માટેના સૌથી ટૂંકા રસ્તાની ગણતરી કરવાની હોઈ છે. આ રોબોટ પાણીની અંદર બાહ્ય સિગ્નલ કે વાયર વગર સ્વાયત્ત રીતે કામ કરે છે. તેમાં વોટર-પ્રૂફિંગ (સીલીંગ), પાણીના દબાણ સામે સ્થિરતા અને અલ્ટ્રાસોનિક સેન્સર્સ દ્વારા અવરોધો ઓળખી માર્ગ બનાવવો એ સૌથી મોટો પડકાર હોય છે તેમ આચાર્ય પ્રો. ડૉ. એમ.જી. ભટ્ટે જણાવ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:31 am

વિશ્વ શાંતિ દિવસ:પ્રજાપિતા બ્રહ્મા બાબાની 57મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર : બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની 57મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બ્રહ્માકુમારી તૃપ્તિબેને પિતાશ્રી બ્રહ્મા બાબાની જીવન ઝરમર રજૂ કરતા જણાવેલ કે પવિત્રતા, વિશ્વ બંધુત્વની, વસુધૈવ કુટુંબ ભાવનાને ચરિતાર્થ કરી સંકલ્પ, શ્વાસ, સમય, સંબંધ સફળ કરી માનવ ઉત્થાનનું ભગીરથ કાર્ય ભારત અને વિશ્વના 144 દેશોમાં ઈશ્વરીય કાર્યનો વ્યાપ્ત વધારેલ છે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્માવત્સો જે ગૃહસ્થ જીવનમાં કમલ પુષ્પ સમાન પવિત્ર જીવન જીવી રહ્યા છે. ભાવનગર મિડિયા સંયોજક બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશી એ જાણાવેલ કે આજ રોજ સમગ્ર ભારતમાં સો પ્રથમ વખત ભાગ્ય વિધાતા ફિલ્મ. સંસ્થા નો ઈતિહાસ રજુ કરતી ફિલ્મ રિલીઝ કરવામાં આવેલ હતી. ઉપસ્થિત સૌને બ્રહ્મા કુમારી બહેનો દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:29 am

JEE મેઈન-2026:ભાવનગરના 2 સેન્ટરમાં 21મી જાન્યુઆરીથી જેઇઇ મેઇનની પ્રથમ પરીક્ષાનો આરંભ થશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જીઇઇ મેઇનની પ્રથમ તબક્કાની પરીક્ષા તારીખ 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભાવનગર સહિતના કેન્દ્રોમાં લેવામાં આવશે. ભાવનગરમાં આ પરીક્ષા જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સીદસર અને જે. પી.એમ ઇન્ફોટેક, તરસમીયા ખાતે લેવામાં આવશે. JEE મેઈન-2026 (સેશન-1) ના એડમિટ કાર્ડ જાહેર કરાયા છે. 21 થી 24 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ વેબસાઇટથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. છેલ્લા 5 વર્ષના પેપર્સનું વિશ્લેષણ દર્શાવે છે કે માત્ર 22 મહત્વના પ્રકરણો 50% પેપર કવર કરે છે. જેજેઈ મેઇનની આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે જે બેસ્ટ ઓફ ટુ ગણાય છે અને જેમાં વધારે માર્ક આવે તે માન્ય રહે છે. આ વખતે જાન્યુઆરી અને એપ્રિલ માસમાં આ પરીક્ષા યોજવામાં આવશે જેમાં જાન્યુઆરીની પરીક્ષા 21 મી થી શરૂ થવાની છે તેમાં દરરોજ બે સેશન રહે છે સવારે 9થી 12 વાગ્યા દરમ્યાન અને બપોરે 3થી 6 વાગ્યા દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે. ભાવનગરમાં આ બંને કેન્દ્રોમાં કુલ મળીને 2025 વિદ્યાર્થીઓ છે તેમ માહિતી આપતા કેન્દ્રના સંચાલક એસ્ટરલા ચક્રપાણીએ જણાવ્યું હતું. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ રહેશે. જેઈઈ મેઈનની 2 પરીક્ષા અનુક્રમે જાન્યુઆરી અને એપ્રિલ માસમાં લેવામાં આવશે અને આ બે પૈકી જે પરીક્ષામાં ઉમેદવારને વધારે માર્કસ હશે તે ગણવામાં આવશે. આ રીતે બેસ્ટ ઓફ ટુની મેથડથી જેઈઈ મેઈનની પરીક્ષા લેવાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધાઓવિદ્યાર્થીઓને વધુ સુવિધા મળી રહે તે માટે એનટીએએ આ વર્ષે દેશભરના પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે, જેથી ઉમેદવારોને પોતાના શહેર અથવા નજીકના જિલ્લામાં જ પરીક્ષા આપવાની તક મળશે. તે સાથે જ, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમ કે રેમ્પ, વ્હિલચેર અને સહાયક સ્ટાફ સહિતની વ્યવસ્થા કરાઈ છે. કમ્પ્યુટર સાથે ચેડા કરવા કે બીજાની સ્ક્રીન જોવી એ ગેરરીતિનવા નિયમો હેઠળ પરીક્ષા દરમિયાન ફાંફાં મારવા, અન્ય વિદ્યાર્થીઓને ઇશારો કરવો, હાવભાવ બદલવો, કમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કરવું અથવા બીજા વિદ્યાર્થીઓની સ્ક્રીન જોવી સીધી ગેરરીતિ ગણાશે. આવા નિયમ ભંગ કરનાર પર આગામી ત્રણ વર્ષ સુધી જેઇઇ મેઇન આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે, દંડ પણ થશે. એડમિટ કાર્ડના નિયમોનું પાલન, યોગ્ય ID પ્રૂફની ચકાસણી અને પરીક્ષા હોલમાં જારી સૂચનાઓનું પાલન કડક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પ્રકરણ મહત્વના

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:27 am

ખરીફ પાકનું થયું બમણું વાવેતર:એક માસમાં ભાવનગરમાં શિયાળુ વાવેતરમાં બમણો વધારો થયો

આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લામાં હવે ઠંડીનો માહોલ ધીમી ગતિએ ડિસેમ્બર અને જન્યુઆરીમાં જામેલો હોય શિયાળુ પાકના વાવેતરમાં છેલ્લાં એક જ માસમાં 75,700 હેકટરનો વધારો નોંધપાત્ર થયો છે. આજથી 30 દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં કુલ વાવતેર 74,400 હેકટર હતુ તે હવે વધીને 1,50,100 હેકટરના આંકને આંબી ગયુ છે. એક પખવાડિયામાં ટકાવારી પ્રમાણે વાવેતરમાં બમણો વધારો થયો છે. ડુંગળીનું સર્વાધિક 40,900 હેકટરમાં વાવેતર થયું છે. તો ઘઉંનું વાવેતર પણ 40,400 હેકટરમાં થતા તે પણ બહુ પાછળ નથી. રવિ (શિયાળુ) સિઝનમાં 6 જિલ્લાના ખેડૂતોને 20મી નવેમ્બરથી 8ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ ડિસેમ્બરથી ઠંડીનો આરંભ થઇ ગયો અને હાલ ઠંડી ચાલુ છે. હાલ ગુજરાતમાં ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીનું વાવેતર 91,900 હેકટરમાં થયું છે તેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર 40,900 હેકટર થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તેના 44.50 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જિલ્લામાં આ વર્ષે ઘઉનું વાવેતર 40,400 હેકટરના આંકને આંબી ગયું છે. ચણાનું વાવેતર 30,800 હેકટર થયું છે. શાકભાજીનું વાવેતર 4,500 હેકટર થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 30,400 હેકટર થયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં અને ડુંગળી તેમજ ચણાના વાવેતરમાં પણ આ વખતે વધારો થવાની શકયતા રહેલી છે. ડુંગળીના વાવેતરના પ્રથમ 5 જિલ્લા વાર્ષિક સરેરાશ 118 ટકા વિસ્તારમાં ડુંગળીનું વાવેતરભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં શિયાળુ વાવેતરમાં ડુંગળીનું છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર 77,492 હેકટરમાં થાય છે અને તેમાં આ વર્ષે પણ 91,896 વાવેતર થઇ ગયું છે છે ગત 3 વર્ષની વાર્ષિક સરેરાશની તુલનામાં 118.59% હેકટર થઇ ગયું છે. આમ, ગુજરાતમાં ડુંગળીનું વાવેતર તેની વાર્ષિક એવરેજથી વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:26 am

વેધર રિપોર્ટ:વાદળો છવાયા, સાંજે 14 કિ.મી.ની ઝડપે પવનના સુસવાટા ફૂંકાયા

ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં 3 દિવસથી વધી રહ્યું હોય ઠંડીમાં રાહત છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. પવનની ઝડપ વધી છે પણ દિશા બદલાઇ જતા ઠંડીમાં રાહત છે. આજે સાંજે પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી. શહેરમાં બપોરથી થોડા વાદળો છવાયા હતા. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં આજે પવનની ઝડપ સવારના સમયે 12 કિલોમીટર હતી તે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 90 ટકા થઇ ગયુ હતુ જે સાંજે ઘટીને 59 ટકા રહ્યું હતુ. જો કે પવન અને ભેજ બન્નેનું પ્રમાણ નોંધપાત્ર હોવા છતાં પવનની દિશા ઉત્તરની ન હોય ઠંડી જામતી નથી. આ ભેજવાળું વાતાવરણ ઠંડી જામવા દેતું નથી. ઠંડી માટે વાતાવરણ સૂકું હોવું જરૂરી છે. તાપમાનમાં સતત વધારો

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:23 am

મંડે ફોટો સ્ટોરી:નવા બંદરના રોડનો આકાશી નજારો જાણે કે રોડ ટુ હેવન

પહેલી નજરે જોતા લાગે આ રોડ ટૂ હેવન છે, પણ ના, આ તો આપણા ભાવનગરના નવા બંદર રોડ છે જે આકાશી નજરથી આવો નયનરમ્ય લાગે છે. હાલ રોડની બંને બાજુ પાણી ભરાયેલું અને આકાશ પણ ભૂરા રંગે રંગાયેલું એટલે લાગે જાણે આકાશ ધરતીને સ્પર્શ કરતુ હોય અને જાણે ભાવનગર નવા બંદર જવાના વિસ્તારમાં સ્વર્ગ જેવું નયનરમ્ય વાતાવરણ સર્જાયું હોય તે જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:20 am

જિયોપોલિટિકલ તજજ્ઞ ડૉ.અંકિત શાહનું વ્યાખ્યાન યોજાયું:વૈશ્વિક અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત અને ચીન નવી ઉભરતી શક્તિ

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અને નાણાકીય વ્યવસ્થામાં આવી રહેલા ધરખમ ફેરફારો અંગે વિચારપ્રેરક વિશ્લેષણ રજૂ કરતાં જિયોપોલિટિકલ એક્સપર્ટ ડૉ. અંકિતભાઈ શાહનું વ્યાખ્યાન ભાવનગરમાં યોજાયું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આજનું વિશ્વ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોના પ્રભુત્વ આધારિત વૈશ્વિક વ્યવસ્થાનું પુનઃસંતુલન થઈ રહ્યું છે. ભારત, ચીન અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મંચ પર નવી શક્તિ તરીકે ઉપસી રહી છે. આ પરિવર્તન માત્ર રાજકીય નથી, પરંતુ તેનો વ્યાપ આર્થિક, નાણાકીય, વ્યાપારિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભારતીય વિચાર મંચ, ભાવનગર કેન્દ્ર તથા ભાવનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BESIA) ના સંયુક્ત ઉપક્રમે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ચેન્જિંગ ગ્લોબલ ઓર્ડર એન્ડ ધ અપકમિંગ ફાયનાન્સીયલ રિસેટ વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું. ડૉ. શાહે પોતાના વિશ્લેષણમાં અમેરિકા–ઈરાન સંઘર્ષ, વૈશ્વિક યુદ્ધોની સંભાવનાઓ, ફેડરલ રિઝર્વની નીતિઓ અને ગોલ્ડના ભાવ જેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આત્મનિર્ભરતા, સ્વદેશી વિચારધારા અને “સનાતન ઇકોનોમિક્સ” જેવા મોડલ્સના આધારે ભારત આવનારા સમયમાં એક સ્થિર અને વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી શકે છે. કાર્યક્રમના અંતે અંકિતભાઈએ પ્રશ્નોત્તરીમાં સારા પ્રશ્નો પૂછનારા વ્યક્તિઓને પોતાનું લખેલું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું હતું. મહેમાનોનું સ્વાગત BESIAના ઉપપ્રમુખ ડૉ. નિયતિબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, આભારવિધિ દિપલભાઈ ભટ્ટએ કરી હતી. આયોજન માટે અધ્યક્ષ ડૉ. ગિરીશભાઈ વાઘાણી સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુ. ફાઈનાન્સિયલ રિસેટની સંકલ્પનાની સમજ આપીઅંકિતભાઇએ ફાઈનાન્સિયલ રિસેટની સંકલ્પનાને સરળ શબ્દોમાં સમજાવતા જણાવ્યું કે, અતિશય કરજ, ચલણનું અવમૂલ્યન અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં ઘટતો વિશ્વાસ આ તમામ પરિબળો એક મૂળભૂત પુનઃરચનાની માંગ કરે છે. આ પ્રક્રિયામાં ડી-ડોલરાઇઝેશન, ગોલ્ડના ભાવોમાં ફેરફાર, ડિજિટલ કરન્સી અને નવી આંતરરાષ્ટ્રીય ચુકવણી પદ્ધતિઓ મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:18 am

સિટી એન્કર:ભાષા અભિગમ પ્રક્રિયામાં SSCCMના 3 અધ્યાપકોને કોપીરાઇટ

શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્ત દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (SSCCM)એ શૈક્ષણિક, ઔદ્યોગિક અને સંશોધન ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના અઘ્યાપકો પાસે 10 જેટલા કોપિરાઈટસ છે, તાજેતરમાં ભારત સરકારનાં કોપીરાઈટસ વિભાગ દ્વારા કોલેજનાં ત્રણ અઘ્યાપકોને અધિકૃત કોપીરાઈટસની નોંધણી પ્રાપ્ત થઈ છે. અંગ્રેજી વિભાગના અઘ્યાપકો અંકિતા ભટ્ટ, ડૉ. પૂજાબા રાણા અને આચાર્યા ડૉ. હેતલ મહેતા દ્વારા પ્રખ્યાત ભાષા શાસ્ત્રી સ્ટીફન કેશરનાં ભાષા અભિગમનાં નીરિક્ષણની પ્રક્રિયા પર આધારિત મોડેલને કોપીરાઈટ પ્રાપ્ત થયેલ છે. SSCCMએ Herbayu Wellness India સાથે MoU કરીને ભાવનગર તેમજ ગુજરાતમાં પ્રથમ ડિપ્લોમા ઇન લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટ અભ્યાસક્રમ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી શરૂ કરવામાં આવનાર આ ડિપ્લોમા અભ્યાસક્રમમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, યોગ, ઘ્યાન, હોલીસ્ટીક વેલનેસ અને ખાસ કરીને સારી જીવનશૈલી જે ડાયાબીટીસ જેવા રોગોથી મુક્ત કરે તેના પર કામ કરશે. કોલેજે વિવિધ ક્ષેત્રોમાં કુલ 5 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનાં MoUs કરી ઉદ્યોગો સાથેના જોડાણો કર્યા છે. આ MoUsમાં દેશની નામાના પ્રાપ્ત એવી Blue Ocean અને Orlikon, Pune સાથે MoU કરવામાં આવ્યાં છે. જેમાં ઈન્ડસ્ટ્રી રેડી સ્કીલ્સ ટ્રેઈનીંગ, લાઈવ પ્રોજેકટસ દ્વારા વિશાળ પ્લેસમેન્ટની તકો વિદ્યાર્થીઓ માટે ઉભી થશે. કોલેજે આ સાથે શ્રીનીવાસા સીનાઈ ડેમ્પો કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીકસ, ગોવા, ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સ, પીમ્પરી, મહારાષ્ટ્ર અને બીઝનેસ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, ચકાન, મહારાષ્ટ્ર સાથે પણ MoU કર્યા છે. ભાષા અધ્યયનમાં મદદરૂપ બનશેઆ કોપીરાઈટ વિકસિત શૈક્ષણિક મોડેલ શિક્ષણ પ્રક્રિયામાં સેલ્ફ મોનિટરિંગ અને સેલ્ફ કરેકશનને પ્રોત્સાહન આપે છે. જે વિદ્યાર્થીઓને ભાષા અધ્યયન દરમ્યાન પોતાની ભૂલો જાતે ઓળખી સુધારવાની ક્ષમતા વિકસાવવામાં સહાયક બને છે. આ કોપીરાઈટસથી કોલેજને ભવિષ્યમાં પેટન્ટ, IPR સેલ અને સ્ટાર્ટ-અપ આધારિત સંશોધન પ્રવૃત્તિ માટે મજબૂત પાયો પુરો પાડશે. આ સંશોધનમાં બોલતા પહેલા વિચારવું, લખતા સમયે વ્યાકરણ ચેક કરવું અને પોતાની ભૂલોને ઓળખીને સુધારવી એમ ત્રિસ્તરીય મોડેલ બનાવાયુ છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:15 am

મંડે પોઝિટીવ:5 વર્ષથી ગીતાબેન પરમારે શરૂ કર્યો છે અનોખો શિક્ષણ યજ્ઞ

આજથી પાંચ વર્ષ પૂર્વે મેં જ્યારે કુંભારવાડા સ્મશાન પાછળના શાંતિનગર જેવા વિસ્તારમાં વસતા શ્રમજીવી પરિવારના શાળાએ ન જતા બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરુ કર્યો ત્યારે હાથની આંગળીએ ગણી શકાય એટલા બાળકો આવતા પણ આજે દરરોજ 65 બાળકો આ શાળામાં નિયમિત ભણવા આવે છે અને સાથે આ તમામ બાળકોને ગરમ નાસ્તો પણ અપાય છે તેનો સંતોષ છે તેમ આ શિક્ષણ યજ્ઞ ચલાવતા અને શહેરના વિદ્યાનગર વિસ્તારમાં વસતા ગીતાબહેન પરમારે જણાવ્યું હતુ. કુંભારવાડા શાંતિનગરમાં આ 65 બાળકો ભણી રહ્યાં છે. તેઓને ભણતર સાથે જીવનનું ગણતર પણ આપવામાં આવે છે. આ સાથે દાતાના સહયોગથી રોજ મગ, ચણા, ખીચડી જેવો ગરમ અને પૌષ્ટિક નાસ્તો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અમે આ સ્થળે બાળકોને બહારના નાસ્તાના પડીકા કે ભુંગળા બટેટા કે તેના જેવી ચીજો આપતા નથી. આ બાળકોને શિક્ષણ આપવાથી જે સંતોષ મળે છે તેનું વર્ણન શબ્દોમાં થઇ શકે તેમ નથી તેમ ગીતાબહેને જણાવી શિક્ષણ સાથે જીવન ઘડતરની કેળવણી આપીયે છીએ તેનો સવિશેષ આનંદ છે. તેઓ પોતે પણ એમ.એ.એમ.એડ. સુધી ભણેલા છે. આથી કેળવણી આપવામાં તજજ્ઞ છે. આ તમામ બાળકો જેઓ ભણવા જઇ શકતા નથી અથવા જતા નથી તેઓને ગોતીને ગીતાબહેને પોતાના વર્ગમાં ભણવા આવતા કર્યા અને આ વાતને આજે 5 વર્ષ થઇ ગયા છે. વર્ગખંડ માટે દાતા જયેશભાઇ શાહે દાન આપતા બે વર્ગખંડ અને એક રસોડું બનાવી આપવામાં આવ્યું છે. સાથે ગિરીશભાઇ શાહ અને જ્યોતિબહેન શાહનો પણ દાનરૂપી સહયોગ સાંપડી રહ્યો છે.કુંભારવાડા શાંતિનગર મોક્ષ મંદિર પાસે ગીતાબેન પરમાર દ્વારા ચાલતા વિના મૂલ્યે ચાલતા ક્લાસીસમાં તાજેતરમાં 65 બાળકોને ચાઈનીઝ વાનગી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:13 am

મંડે પોઝિટીવ:ભીખમાં રૂપિયાને બદલે કોઈએ કોમિક ફેંકતા કાર્ટૂનિસ્ટ બનવાનો વિચાર આવ્યો, આજે બચ્ચન, શાહરૂખ, અક્ષય કુમાર આબિદ સુરતીના ફેન છે

‘ભીખમાં એક વ્યક્તિએ રૂપિયાને બદલે કોમિક ફેંકતા કાર્ટૂનિસ્ટ બનાવાનો વિચાર આવ્યો હતો.ત્યારથી અત્યાર સુધી મારૂં સમગ્ર જીવન કાર્ટુન બનાવવામાં સમર્પિત કરી દિધું છે.’ આ શબ્દો છે 90 વર્ષના કાર્ટુનિસ્ટ આબિદ સુરતીના. તેઓ કાર્ટુનિસ્ટ, લેખક, સમાજસેવી છે. તેમણે ધર્મયુગ મેગેઝિનમાં 30 વર્ષ સુધી ઢબુજી કાર્ટુન બનાવ્યુ હતું. ભારતની કોમિક્સની દુનિયામાં પહેલા સુપર હિરો ‘બહાદુર’નું સર્જન કર્યુ હતું. આજે તેમના શાહરુખ ખાન, આમિરખાન અને અક્ષય કુમાર ફેન છે. એમના 80થી વધુ પુસ્તકો પ્રકશિત થઇ છે. 2007માં મુંબઈમાં ડ્રોપ ડેડ ફાઉન્ડેશન શરૂ કર્યુ હતું. ત્યારથી 2025 સુધીમાં 3 કરોડ લિટર પાણી બચાવ્યું હતું. ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. કાર્ટૂનિસ્ટ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?જવાબ : હું લગભગ 7 વર્ષનો હોઈશ બીજા વિશ્વયુદ્ધના કારણે અમારો પરિવાર નાદાર થઇ સુરતથી મુંબઈ શિફ્ટ થયો હતો અને ત્યાંથી કરાચી જવાની તૈયારી કરતો હતો કારણ કે ત્યારથી ભાગલાની અટકળો વધી ગઈ હતી. મુંબઈમાં અમે ડોંગરીની ચાલની એક ખોલીમાં અમે 15 જણા રહેતા ,રાતે મહિલાઓ ઘરની અંદર અને પુરુષો બહાર ફૂટપાથ પર સુતા. ગુજરાન ચલાવા માટે હુ રસ્તા પર પીપરમિન્ટ, બોર જેવી વસ્તુઓ વેચતો. ત્યાં મારા જેવા ઘણા હતા જેમાંથી એક દિવસે એક વ્યક્તિ કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ માટે ઇંગ્લેન્ડથી સૈનિકો મુંબઈ આવે છે અને ત્યાંથી ટ્રેનમાં બર્મા જાય છે . આપણે એમની પાસે ભીખ માંગવી જોઈએ. પછી શું અમે બધા સ્ટેશન પર પહોંચી ગયા અને વાટકો લઇ ચાલુ ટ્રેનની પાછળ દોડતા હતાં. કોઈ એંઠી સેન્ડવિચ નાંખે, કોઈ બ્રેડ નાંખે, કોઈ રૂપિયા ફેંકે અને એક દિવસ એક અંગ્રેજે કોમિક્સ બુક્સ ફેંકી અમને એમ કે, એમાં રૂપિયા અથવા પાઉન્ડ હશે અને અમે એની પર તૂટી પડ્યા. મારા હાથમાં કોમિક્સનું એક પાનું આવ્યું જે હતું વૉલ્ટ ડિઝનીનું મિકી માઉસ .એને જોતા જોતા હું ઘરે પહોંચ્યો અને વિચાર્યું કે આવું તો હું પણ બનાવી શકું છું . પહેલી તક કેવી રીતે મળી?જવાબ : મેં નાના કાર્ટૂન બનાવાની શરૂઆત કરી દીધી હતી .ત્યારે મારી સ્કૂલમાં ભણતા એક છોકરા એ મને કહ્યું કે તું નાના નાના કાર્ટૂન બનાવે છે. અમારી બાજુના ઘરમાં તો મોટા મોટા ચિત્રો બનાવે છે. એની સાથે હું ત્યાં ગયો એ ઘર હતું ડોક્ટર ચીનવાળાનું જે એવા લોકોને પોતાના ઘરે આશરો આપતા જે કળા સાથે સંકળાયેલા હોય, એમને ત્યાં એક લેખક રહેતા અને બીજો કલાકાર હતા પેઈન્ટર. ત્યાં રહીને હું કાર્ટૂનને વધુ સારી રીતે બનાવતા શીખ્યો અને લેખક સાથે રહીને સ્ક્રીપટ રાઇટિંગ. અમારી સ્કૂલમાં ‘પહેલી કમાઈ ડે’ હતો .જેનો ઉદેશ્ય એ કમાણી તમારા માતાને અર્પણ કરવી. જેમાં હું સ્કાઉટનો ડ્રેસ પેહરીને અંગ્રેજી અખબારના એડિટરની કેબીનમાં મારા ત્રણ કાર્ટૂન લઇને પહોંચ્યો અને એમાંથી એક એમને પસંદ પડ્યું અને પછી છપાયું હતું .આ રીતે મને પેહલો બ્રેક મળ્યો હતો . ડબ્બુજી ની શરૂઆત કેવી રીતે થઇ ?જવાબ : ગુજરાતીમાં મેગેઝીનમાં કામ કરતો હતો. તેમાં ડબ્બુજી બનાવ્યું હતું. જે વાચકોને પસંદ ન આવ્યું એટલે ત્રણ મહિનામાં બંધ કર્યું.પછી ડો.ધર્મવીર ભારતી ધર્મયુગ મેગેઝીન માટે કોઈ કેરેક્ટર શોધી રહ્યા હતા. મેં મારા ગુજરાતી ડબ્બુજી ને હિન્દીમાં કરીને આપી દીધા અને એ ચાલી ગયું. 30 વર્ષ સુધી ડબ્બુજી ચાલ્યા જેના અટલબિહારી બાઝપાઈ, ઓશો, અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ પણ ફેન હતાં. ડ્રોપ ડેડ ફાઉન્ડેશનની શરૂઆત કેવી રીતે કરી ?જવાબ : ડ્રોપ ડેડ ફોઉન્ડેશનની મારું બાળપણ મુંબઈની ચાલીઓમાં વીત્યું જ્યાં મેં મારી માતાને પાણીની સંઘર્ષ કરતા જોયા હતા. ચાલીમાં એક જ નળ હોય અને એના આવવાના સમયના બે કલાક પહેલાથી લોકો ડોલ લઇને લાઈનમાં ઉભા રહેતા. એના લીધે ઘણી મારામારી પણ થતી ત્યારથી વિચાર આવ્યો હતો કે આ દિશામાં કામ કરવું. 2007થી દર રવિવારે હું એક પ્લમ્બર અને એક થેલામાં નળને સાથે લઇ મુંબઈના મીંરા રોડ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જતો અને જો એમના ઘરનો નળ લીક થતો હોય તો એ ફ્રીમાં રિપેર કરી આપતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:08 am

શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા કડક વલણ:CBSE સ્કૂલોએ વેબસાઇટ પર શિક્ષકોની ડિગ્રી અને ફી સહિત તમામ વિગતો જાહેર કરવી પડશે

સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી જે વિગતો માત્ર ફાઈલોમાં દબાયેલી રહેતી હતી, તેને હવે જનતા અને વાલીઓ સમક્ષ ખુલ્લી મૂકવા માટે બોર્ડે સ્કૂલોને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે આદેશ આપ્યો છે કે તમામ સંલગ્ન સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર શિક્ષકોની ડિગ્રીથી લઈને ફીના માળખા સુધીની તમામ વિગતો જાહેર કરવી પડશે. બોર્ડના ધ્યાન પર આવ્યું છે કે અનેક સ્કૂલો વારંવારની સૂચના છતાં વિગતો અપડેટ કરવામાં આળસ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને CBSEએ નવું ફોર્મેટ ‘Appendix-IX’ જાહેર કર્યું છે. જો 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં આ વિગતો અપલોડ નહીં થાય અથવા ખોટી માહિતી જણાશે, તો જે-તે સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે. વાલીઓની જાગૃતિ માટે નિર્ણયCBSEના મતે, વાલીઓ પોતાના બાળકનું ભવિષ્ય જે સ્કૂલના ભરોસે મૂકે છે, ત્યાં કેવી સુવિધાઓ છે અને કેવા શિક્ષકો ભણાવે છે તે જાણવાનો તેમનો નૈતિક અને કાયદેસરનો અધિકાર છે. જેમાં આ ડિજિટલ ડિસ્ક્લોઝરથી સ્કૂલો દ્વારા ચલાવવામાં આવતી મનમાની પર લગામ લાગશે. શા માટે લેવાયો આ નિર્ણય?બોર્ડના અવલોકનમાં આવ્યું છે કે ઘણી સ્કૂલો વેબસાઈટ પર અધૂરી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી મૂકે છે. વાલીઓને સ્કૂલ પસંદગીમાં છેતરામણીનો ભોગ ન બનવું પડે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા બોર્ડે આ ‘મેન્ડેટરી પબ્લિક ડિસ્ક્લોઝર’નો કોરડો વીંઝ્યો છે. વાલીઓને જાણકારી મળે તે માટે વેબસાઈટ પર 5 વિગત મૂકવી ફરજિયાત

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:02 am

સાહેબ મિટિંગમાં છે:'પાણી પીવો હજુ કેબિનેટમાં પણ બોલવાનું છે', સાંસદો તો જબરા ખેલાડી નીકળ્યા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... RB વિભાગમાં સચિવ કોણ? ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં સચિવનું પદ હંમેશા પડકારરૂપ રહ્યું છે. આ પદ સંપૂર્ણપણે ટેકનિકલ હોવાથી અહીં IAS અધિકારીની નિમણૂક શક્ય નથી. હાલના સચિવ પી. આર. પટેલિયા માર્ચ 2026માં નિવૃત્ત થવાના હોવાથી નવા સચિવ અંગે ચિંતા વધી છે. સરકાર પાસે મુખ્ય ઇજનેર તરીકે જરૂરી અનુભવ ધરાવતા અધિકારીઓની અછત છે, જેના કારણે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક એકમાત્ર વિકલ્પ બની શકે છે. અન્ય રાજ્યોમાં વહીવટી અને ટેકનિકલ પદ અલગ હોવા છતાં ગુજરાતમાં આવી વ્યવસ્થા ન હોવાને કારણે ગૂંચવણ યથાવત છે. CSએ મુકેશકુમારને કહ્યું, પાણી પીવો હજુ કેબિનેટમાં પણ બોલવાનું છેગત શુક્રવારે કેબિનેટની બેઠક મળી હતી. આ અગાઉ પીએમ મોદીની ગુજરાત મુલાકાતને કારણે કેબિનેટની બેઠક મળી શકી નહોતી. ઉપરાંત ત્યાર પછીના બુધવારે ઉત્તરાયણ નિમિત્તે જાહેર રજા હોવાથી સચિવાલય બંધ હતું. જેથી કેબિનેટની બેઠક મળશે તેવા મેસેજ ગુરુવારે જ કરી દેવાયા હતા. અડધો કલાક બાદ એમ.કે.દાસે રોક્યાકેબિનેટની બેઠક પહેલા મળતી COS-કમિટી ઓફ સેક્રેટરીઓની બેઠકમાં એજ્યુકેશનના એસીએસ-એડિશનલ ચીફ સેક્રેટીરી મુકેશકુમારે એક પ્રેઝન્ટેશન કર્યું હતું. હ્યુમન કેપિટ ફોર વિકસિત ભારત વિષય ઉપર મુકેશકુમારનું રસપ્રદ પ્રેઝન્ટેશન ઘણું લાંબુ હતું. તેઓ સતત બોલી રહ્યા હતા. અડધો કલાક બાદ મુખ્ય સચિવ એમ.કે.દાસે તેમને રોકતા કહ્યું કે તમે લાંબા સમયથી બોલી રહ્યાં છો, થોડું પાણી પી લો. કેમકે તમારે હજુ કેબિનેટની બેઠકમાં પણ બોલવાનું છે. કેબિનેટની બેઠક બાદ આઈએએસ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા હતા કે મોટા સાહેબ એટલે કે,મુખ્ય સચિવ કેબિનેટમાં ખખડાવતા હોય છે તેવી ઈમેજ છે પણ વાસ્તવિકતા એ પણ છે કે, જ્યારે જરુર પડે ત્યારે તેઓ પોતાના નીચેના અધિકારીઓનું પૂરતું ધ્યાન પણ રાખે છે. ઉદ્યોગમંત્રી અને 4 IAS સ્વિત્ઝર્લેન્ડ ગયાસ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં 19થી 23 જાન્યુઆરી દરમિયાન વર્લ્ડ ઈકોનોમી ફોરમની વાર્ષિક બેઠક મળી રહી છે. જેમાં સરકારમાંથી વૈશ્વિક નેતાઓ, બિઝનેસમેન,વિવિધ ફેકલ્ટીની નિષ્ણાતો ભાગ લેવાના છે. તેમજ વૈશ્વિક સમસ્યાઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરશે અને કઈ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તેના સૂચનો કરી અભિપ્રાયો આપશે. સરકારની સૂચનાથી નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવી, ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપ, ઉદ્યોગના એડિશનલ ચીફ સેક્રેટીરી મમતા વર્મા તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ પી.ભારતી સ્વિત્ઝર્લેન્ડના દાઓસ ગયા છે. આ બેઠકમાં જીઆઈએલના એમડી અરવિંદ વિજયન પણ જવાના હતા. પરંતુ છલ્લી ઘડીએ તેમનું કેન્સલ થયું હતું. ગુજરાતને શું અને કેટલો લાભ થશે તેની કોઈને ખબર નથીઆ મહાનુભાવો 17મીએ દાઓસ જવા રવાના થયા હતા. તેઓ 27મી જાન્યુઆરીથી ફરીથી ગાંધનગરમાં હાજર થઈ જશે. આ ફોરમ આર્થિક નીતિઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા થવાની છે. આ મિટિંગ દરમિયાન એક ઈવેન્ટ એઆઈ રિલેટેડ છે. જો કે, તે પણ ઈકોનોમી બેઝ ઈવેન્ટ છે. જેને લઈને બ્યુરોક્રેટસમાં ચર્ચા શરુ થઈ છે કે, ડીએસટીના અધિકારીને આર્થિક બાબતોના સંદર્ભમાં કોઈ જ લેવા દેવા નથી. હવે આ મિટિંગ બાદ ગુજરાતને શું અને કેટલો લાભ થશે તેની કોઈને ખબર નથી. સાંસદ ખેલ મહોત્સવમાં તો જબરું થયુંગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો. વડાપ્રધાન મોદીએ દેશના તમામ સાંસદોને આ પ્રકારનો ખેલ મહોત્સવ યોજવા માટે જણાવ્યું હતું. જેને પગલે ગુજરાતના સાંસદોએ તેનો તુરંત જ અમલ કરી દીધો હતો. જો કે, મોટાભાગના સાંસદોને ખેલ રમોત્સવનું આયોજન કરવાનો કોઈ ખાસ અનુભવ ના હોવાથી અનેક પ્રકારના ગોટાળા સર્જાયા હતા. જેમ કે, સૌપ્રથમ વિવિધ રમતોમાં ભાગ લેવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું કહેવાયું હતું. જેમાં જુદી જુદી રમતો માટે અનેક ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેચ રમ્યા નહીં છતાં સર્ટિફિકેટ મળ્યુંઆ અંગે સફળતાપૂર્વક નોંધણી થયાના મેસેજ પણ આવી ગયા હતા. ખેલાડીઓને મેચ ક્યારે રમાશે તેની ખબર નહોતી. એટલું જ નહી, સાંસદના કાર્યાલય દ્વારા પણ કોઈ જ જાણકારી અપાતી નહોતી. અંતે એવું થયું કે, ટુર્નામેન્ટની તમામ મેચ રમાઈ ગઈ અને નોંધણી કરાવનારા ખેલાડીઓ રાહ જોતા રહ્યા હતા. જેને લઈને વિવિધ મેચોમાં ખેલાડીઓની સંખ્યા ઘણી જ ઓછી દેખાતી હતી. ત્યાર બાદ હવે કેટલાય ખેલાડીઓના વોટ્સએપ પર સાંસદ ખેલ રમતોત્સવમાં ભાગ લેવા બદલનું સરસ છાપેલું સર્ટીફિકેટ આવ્યું હતું. કોઈ જ મેચમાં ભાગ ના લીધો હોવા છતાં પાર્ટીસિપેન્ટ સર્ટીફિકેટ આપી દેવાયા છે. IAS અધિકારીઓને સામાજિક કાર્યક્રમો કેન્સલ કરવા પડ્યાકેબિનેટની બેઠક ગાંધીગનરમાં દર બુધવારે સવારે મળતી હોય છે. પરંતુ આ બુધવારે ઉતરાયણની જાહેર રજા હોવાથી બેઠક મળી નહોતી. તે પહેલાના અઠવાડીયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવ્યા ત્યારે મુખ્યમંત્રી સહીતના મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ સહીતના સચિવો વાઈબ્રન્ટ સમિટ સહીતના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી એ બુધવારે પણ કેબિનેટ મળી શકી નહોતી. જો કે, ઉત્તરાયણ પહેલાના સોમવારે એવી ચર્ચા હતી કે, બુધવારે જાહેર રજા હોવાથી મંગળવારે કેબિનેટની બેઠક મળી શકશે નહીં. જેથી કેટલાક આઈએએસ અધિકારીઓએ હાશકારો લીધો હતો. તેમજ શુક્રવારે ઓફિસમાં રજા રાખીને સામાજિક કાર્યક્રમો પણ બનાવી દીધા હતા.બીજી બાજુ ગુરુવારે સાંજે બધાને મેસેજ મળ્યા કે, આવતીકાલે શુક્રવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવાની છે. જેથી કાર્યક્રમોનું આયોજન કરનારા કેટલાક IAS અધિકારીઓનું પ્લાનિંગ બગડી ગયું હતું. તેમજ ઘરેથી ગાંધીનગર જવા માટે વહેલા નીકળવું પડ્યું હતું. જેને પોસ્ટીંગ જોઈએ છે તેને મળતું નથી, મળ્યું છે તે હાજર થતાં નથીગત ડિસેમ્બરમાં સરકારે બ્યુરોક્રેટ્સમાં સામૂહિક બદલીઓ દ્વારા મોટા અને ધરખમ ફેરફારો કર્યા હતા. ત્યાર બાદ કહીં ખુશી કહીં ગમનો માહોલ ઉભો થયો હતો. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી બદલી કરાયેલા IAS અધિકારી અનુપમ આનંદને ક્યાંય મુકાયા નથી. એટલે કે, તેઓ હાલમાં સામાન્ય વહીવટ વિભાગના હવાલે છે. તેઓ પોસ્ટીંગ માટે રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ, દીલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ડો. સંધ્યા ભુલ્લરને આરોગ્ય વિભાગમાં હેલ્થ કમિશનર-અર્બન તરીકે મુકાયા હતા. પરંતુ કોઈ ટેકનિકલ કારણસર હજુ સુધી તેઓ ગુજરાત પરત આવી શક્યા નથી. માટે હેલ્થ કમિશનર-રુરલ ડો.રતનકંવર ગઢવીને તેમનો વધારાનો હવાલો સોંપાયો છે. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, જેમને પોસ્ટીંગની જરૂર છે તેમને મળતુ નથી જ્યારે જેમને પોસ્ટીંગ મળી ગયું છે તેને હાજર થવું નથી…જો કે એવું જાણવા મળે છે કે, અનુપમ આનંદને ઈસરોમાં ત્રણ વર્ષ માટે મુકવાનો નિર્ણય લેવાઈ ગયો છે. સ્પીપાએ તો રંગ રાખ્યોગુજરાતમાં યુપીએસસી પાસ કરનારાની સંખ્યા વધી રહી છે. જેને લઈને ઉજળી કારકિર્દી ધરાવતા ઉમેદવારોને પરીક્ષાના તાલીમ આપતી સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)નો ટ્રેક રેકોર્ડ ઘણો સુધરી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં આવેલી સ્પીપાના 160 ટ્રેઇનીઝ પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચ્યા છે. જ્યારે આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં આ સંખ્યા 76 થઇ છે. જો કે અગાઉના વર્ષમાં યુપીએસસી મેઇન્સ ક્લિયર કરેલા ઉમેદવારો પણ પર્સનાલિટી ટેસ્ટમાં જોડાઇ શકતાં આંકડો વધી શકે છે. મહત્વનું છે કે સ્પીપાની તાલીમ માટે પ્રથમ સાત મહિના સુધી દર મહિને ઉમેદવારને બે હજારની સહાય આપવામાં આવે છે, જ્યારે પ્રિલિમ્સ અને મેઇન્સ ક્લિયર કરનાર યુવક-યુવતીને બે વખત અનુક્રમે 25 હજાર અને 30 હજાર પ્રોત્સાહક સહાય ચૂકવાય છે. ગુજરાતમાં રજિસ્ટ્રાર કેડરનું વજન વધ્યુંગુજરાતમાં IAS પસંદગીમાં અન્ય કેડરના અધિકારીઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રજિસ્ટ્રાર કેડરમાંથી સૌથી વધુ અધિકારીઓ IAS તરીકે પસંદ થયા છે. તાજેતરમાં બે જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીઓ UPSCની પસંદગી માર્ગથી IAS બન્યા છે અને તેમને DoPTના આદેશ મુજબ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ ટ્રેન્ડને કારણે રાજ્ય વહીવટી સેવા અધિકારીઓમાં અસંતોષની ચર્ચાઓ પણ સામે આવી રહી છે. શિક્ષણ વિભાગમાં હાર્ડકોપી બંધ, ઑનલાઇન ટ્રેકિંગ શરૂપ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પારદર્શિતા લાવવા માટે શાળા કમિશનરે હવે કોઈપણ હાર્ડકોપી ફાઈલ કે પત્રવ્યવહાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી e-Governance પોર્ટલ મારફતે જ કરવી. હવે ફાઈલ ક્યાં અટકી છે અને કેટલા સમયથી અટકી છે તે સ્પષ્ટ રીતે ટ્રેક થઈ શકશે, જેના કારણે લાંચ અને વિલંબની ફરિયાદો ઘટવાની અપેક્ષા છે. પસંદગીના અધિકારીઓ માટે નિયમો અલગ?ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ વિભાગમાં બદલી અને ચાર્જ બાબતે અસંતોષ સામે આવી રહ્યો છે. કેટલાક અધિકારીઓ પર વારંવાર કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ છે, જ્યારે ગંભીર પ્રશ્નો હોવા છતાં કેટલાક અધિકારીઓ અસ્પર્શ્ય રહે છે તેવી ચર્ચા છે. આ મુદ્દે વિભાગની કાર્યપ્રણાલી અને નિર્ણય પ્રક્રિયા પર સવાલો ઊઠ્યા છે. પ્રદેશ નેતાએ ખૂણામાં ઉભા રહેવું પડ્યુંઉતરાયણના તહેવારની મજા ભાજપના નેતાઓએ પોતાના પરિવાર સાથે ઉજવી હતી. કેન્દ્રના એક મોટા નેતા પણ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી માટે કાર્યકર્તાઓને ત્યાં પહોંચ્યા ત્યારે પ્રદેશ ભાજપના એક નેતા પણ ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓ સાથે કેન્દ્રના નેતા બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ પ્રદેશના નેતાને ખૂણામાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાઇ હતી. પ્રદેશમાં મહત્વનું સ્થાન ધરાવનારા આ નેતા ત્યાં પહોંચી ગયા અને તેમને સાહેબ જોડે બેસવા મળશે એવી આશા હતી. પરંતુ એક જગ્યાએ ખૂણામાં ઊભા રહેવું પડ્યું હતું. ભાજપના નેતાઓમાં ચર્ચા છે કે પ્રદેશના નેતા સાહેબની નજીક જવા ગયા હતા. પરંતુ નવા નવા બનેલા આ નેતા સાહેબને સારું લગાડવા પહોંચ્યા અને જોવા જેવી થઈ હતી. ધારાસભ્યો અને શહેર હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ શહેર અને જિલ્લામાં સંગઠનની ટીમ જાહેર કરવામાં આવશે. ત્યારે અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ હોય એવી ચર્ચા જાગી છે. ધારાસભ્યો અને શહેર હોદ્દેદારો વચ્ચે સંકલનનો અભાવ અને અણગમો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણીનો કાર્યક્રમ ખાનપુર કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના મોટાભાગના સ્થાનિક, નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો ગેરહાજર જોવા મળ્યા હતા. કેટલાક નેતાઓ સમયસર આવવાની જગ્યાએ મોડા આવ્યા હતા. શહેર ભાજપમાં આંતરિક વિખવાદ ઘણો છે. નવા સંગઠનની જાહેરાત અને કોર્પોરેશનની ચૂંટણી જાહેર થયા બાદ કેટલાક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે ગોડફાધર્સનો ઝભ્ભો પકડી પદ માટે લોબિંગગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનની નવી ટીમની જાહેરાત બાદ જિલ્લા અને શહેરના નવા સંગઠનની જાહેરાત થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ શહેર અને જિલ્લામાં સ્થાન મેળવવા માટે પોતાના ગોડફાધર પાસે પહોંચી ગયા છે. જિલ્લા અને શહેરની ટીમમાં સ્થાન મેળવવા માટે લોબિંગ કરી રહ્યા છે. પ્રદેશની ટીમમાં વિવિધ મોરચા, સેલ અને હોદ્દાઓમાં નિમણૂક મેળવવા માટે યુવા નેતાઓ સક્રિય થઈ ચૂક્યા છે. શહેર અને પ્રદેશની ટીમમાં સ્થાન મેળવવા અમદાવાદના મુખ્ય ત્રણ યુવા નેતાના નામ ચર્ચામાં છે. એક યુવા નેતાને પ્રદેશની ટીમમાં સ્થાન મળ્યું છે, જેથી એમની ટીમમાં રહેલા કેટલાક યુવા નેતાઓ આજકાલ તેમની આગળ પાછળ ફરી રહ્યા છે અને હવે ક્યાંક હોદ્દો મળી જશે એવી આશા લઈને કમલમના આંટા મારી રહ્યા છે. મોદીના કાર્યક્રમમાં સ્કેનર તો મૂક્યા પણ એક બંધ થઈ ગયુંતાજેતરમાં જ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઉદ્ઘાટન કરાયું હતું. જો કે ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા સવારે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે VVIP સુરક્ષાને લઈને સ્કેનર મશીન મૂકવામાં આવ્યું હતું. આ સ્કેનર મશીનમાં તપાસ બાદ જ સામાન લઈ જવા દેવામાં આવતો હતો. જો કે થોડા સમય માટે આ સ્કેનર મશીન ચાલુ હતું. પરંતુ અચાનક જ બંધ થઈ ગયું હતું. સ્કેનર મશીનમાં તપાસ માટે જે કર્મચારીઓને બેસાડ્યા હતા અને તેમને આ મશીનના ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું જો કે આ સ્કેનર બંધ થઈ ગયા બાદ તમામ લોકોને ફિઝિકલ ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવો પડ્યો હતો. PI હવે IPS અધિકારીઓની બદલીઓની રાહમાં રાજ્યમાં કાયમી પોલીસ વડાની જગ્યાએ ઇન્ચાર્જ પોલીસવડા મૂક્યા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલીઓની રાહ જોવાઈ રહી છે. જેની વચ્ચે હાલમાં અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ હજી સુધી ન થતા અનેક ચર્ચા જાગી છે. આઇપીએસ અધિકારીઓની બદલીઓમાં અમદાવાદના 4 આઈપીએસની પણ બદલીની ચર્ચા ચાલી રહી છે. જેની વચ્ચે પોલીસ ઇન્સ્પેક્ટરોમાં ચર્ચા જાગી છે કે હવે આઇપીએસ અધિકારીઓની બદલીઓ જલ્દી આવે તો સારુ કારણ કે જો મોટા સાહેબોની બદલી થશે તો અમારો વારો આવશે. ગુજરાતના ઇન્ચાર્જ પોલીસવડા દ્વારા હજી સુધી કોઈ મોટા પાયે બદલીઓ અંગે ચર્ચા થઈ નથી ત્યારે હવે નવા કોઈ સાહેબ આવશે અને પછી બદલી થશે કે કેમ તેની પણ ચર્ચા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 7:00 am

ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન કરાયું:સંયુક્ત પરિવારમાં રહી સાસુ-સસરાની સેવા કરતી 11 પુત્રવધુઓનું વિશેષ સન્માન કરાયું

ધામેલિયા પરિવાર દ્વારા ધામેલિયા પારિવારિક મહોત્સવનું આયોજન બાપા સીતારામ પેલેસ ફાર્મ, એન્થમ સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 140 ગામોના 6000થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન દરમિયાન ધામેલિયા પરિવાર યુવા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આવતા વર્ષે ધામેલિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ, બિઝનેસ એક્સ્પો, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા પુસ્તક વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.ઉપરાંત સંયુક્ત પરિવારમાં રહી સાસુ-સસરાની સેવા કરતી 11 પુત્રવધુઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા શક્તિ વિષય પર કિરણબેન ધામેલિયા તથા મિંકલબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુટુંબ વિભાજનથી અનેક સમસ્યાઓસમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ છે તેને ફરી પાછી પ્રસ્થાપિત કરવાની ખૂબ જ જરૂર છે. કારણ કે સંયુક્ત કુટુંબોમાં રહેવું અને સાસુ સસરાની સેવા કરવી એ અત્યારના સમય પ્રમાણે સામાન્ય બાબત નથી .

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:59 am

રહેણાંક મિલકતો માટે વ્યાજ-પેનલ્ટીમાં પૂરેપૂરી માફી:મિલકત વેરાના વ્યાજમાં 100% સુધીની માફી આપવાની શરૂઆત

કરદાતાઓ માટે મહાપાલિકા દ્વારા મિલકત વેરાના વ્યાજમાં રાહત આપતી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી તેનો 1લી જાન્યુઆરીથી અમલ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત બાકી વેરો ભરપાઈ કરનાર મિલકતદારોને વ્યાજ અને પેનલ્ટીમાં મોટું વળતર આપવામાં આવી રહ્યું છે. રજા ના દિવસે પણ સીવીક સેન્ટરો ચાલુ રહેશે. લોકો વેરો ઘર બેઠા પણ ઇ-પેમેન્ટ દ્વારા કરી શકશેઆ માફીનો લાભ મેળવવા માટે કરદાતાએ નાણાકીય વર્ષ 2025-26 સુધીનો તમામ બાકી મિલકતવેરો, યુઝર ચાર્જ અને શિક્ષણ વેરા સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરવાની રહેશે. 31 માર્ચ 2025 સુધીની વ્યાજ પાત્ર રકમ પર જ આ માફી મળવાપાત્ર રહેશે. તમામ સીવીક સેન્ટરો જાહેર રજાઓ (પ્રજાસત્તાક દિન અને ધુળેટી સિવાય) ચાલુ રહેશે. વ્યાજ માફી યોજનાની મુખ્ય વિગતો

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:56 am

સરથાણામાં બ્રિજ નીચે રમતગમતનું નવું હબ તૈયાર:મનીષા ગરનાળા પાસે સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર તૈયાર થઈ ગયું

મહાપાલિકા દ્વારા શહેરના નવા પૂર્વ સરથાણા ઝોનમાં વિકાસના નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. ઉત્રાણ રેલ્વે ઓવરબ્રિજની નીચે મનીષા ગરનાળા પાસે ખાલી પડેલી જગ્યાનો સદુપયોગ કરીને એક આધુનિક સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના સંચાલન અને નિભાવ માટે ગત સ્થાયી સમિતિએ કોન્ટ્રાક્ટ પણ સોંપી દીધો હોય આ સ્પોર્ટ્સ ફેસીલીટી માટે એજન્સી પાસેથી પ્રથમ વર્ષે 9.75લાખ મળી કુલ બે વર્ષ માટે રૂપિયા 19.50 લાખના વાર્ષિક પ્રીમિયમ પાલિકાને પ્રાપ્ત થશે. 3290 ચો.મી.માં સુવિધાઅંદાજે 3290 ચોરસ મીટર એરિયામાં ફેલાયેલી આ સ્પોર્ટ્સ સુવિધા ને બ્રિજના 8 સ્પાન નીચે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવી છે. સ્પાન 1થી 3માં બેડમિન્ટન કોર્ટ, બોક્સ ક્રિકેટ અને પીકલ બોલ કોર્ટ બનાવાયું છે. બ્રિજ નીચે ત્રાસ ઓછો થશેશહેરના બ્રિજ નીચેની ખાલી જગ્યાઓ પર અસામાજિક તત્વોનો અડ્ડો બનતી હોય છે, શ્રમિકોનું આશ્રયસ્થાન બનતાં ત્યાં ગંદકી થતી હોય છે. શહેરની શોભા બગડતી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠતી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:55 am

ટેક્સટાઈલ પોલિસી 2024ને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય:શહેરમાં ગારમેન્ટ, એમ્બ્રોઇડરી, એરજેટના નવા યુનિટોને ટેક્સટાઈલ પોલિસીનો લાભ મળશે

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના હિતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગાર્મેન્ટ, એપેરલ, મેડઅપ્સ, એમ્બ્રોઈડરી, રેપિયર, એરજેટ યુનિટો શહેરી વિસ્તારમાં સ્થાપાશે તો પણ ટેક્સટાઈલ પોલિસીનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ જાહેર કરી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, આ ટેક્સટાઈલ પોલિસીનો લાભ એવા યુનિટોને જ મળશે જે શહેરી વિસ્તારની બહાર સ્થપાય.’ ટેક્સટાઈલ ઉદ્યોગકારો ગાર્મેન્ડ ઈન્ડસ્ટ્રી તરફ પણ વળી રહ્યા છે જેને લઈને જેને લઈને સરકારના આ નિર્ણયનો સૌથી મોટો લાભ સુરતની ઈન્ડસ્ટ્રીને મળશે. ભાસ્કર એક્સપર્ટનાના ઉદ્યોગોને આ નિર્ણયથી ફાયદોનોન-પોલ્યુટીંગ ટેક્ષટાઈલ પ્રવૃત્તિઓને શહેરી વિસ્તારમાં માન્યતા મળવાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સ્થપાશે. કોર્પોરેશન વિસ્તારમાં ઉપલબ્ધ આંતર માળખાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ થશે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. > મયુર ગોળવાલા, વિવર ભાસ્કર નોલેજઆ નિર્ણયથી શું ફાયદો થશે

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:54 am

સિટી એન્કર:લોકોની પડી રહેલી 235 સાયકલ ભેગી કરી, 135 બાળકોને આપી દીધી, આ અઠવાડિયે વધુ 100 આપશે

જૂની સાયકલ નવા સપનાના નામથી અભિયાન ચલાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટે છેલ્લા બે 2 વર્ષમાં ઘણી સાયકલ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. તેઓ જૂની સાયકલ રિપેર બાળકો આપે છે. ફર્સ્ટ પર્સન તમારા ઘરે પડી રહેલી અને જૂની તૂટી ગયેલી સાયકલો બાળકો નહીં ચાલાવતા હોય તો સાયકલ મને આપો હું તેને રીપેરીંગ કરાવી જે બાળકોને જરૂર હશે એમને આપીશ. અત્યારસુધી 235 સાયકલ મળી છે, જેમાંથી 135 બાળકોને આપી છે, આવતા અઠવાડિયામાં વધુ 100 સાયકલ આપી દઈશું. એક બાળક એવો મળ્યો કે જેના પિતા નહોતા, તેને સાયકલ મળી તો ખુશખુશાલ થયો. બીજું એક બાળક એવું હતું તેના માતાપિતા નહોતા, કાકાના ઘરે રહેતો હતો. સ્કૂલે જવા રીક્ષાના પૈસા નહોતા. સાયકલ મળી તો રોજ સ્કૂલે જાય છે. -વ્રજેશ ઉનડકટ, કોર્પોરેટર

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:51 am

સરાહનીય પહેલ:9,000 દીકરીને કરાટે શીખવાડ્યા

પૂજાબા વનરાજસિંહ જાડેજા દ્વારા વર્ષ-2008માં જેસલરાજ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ સમાજના 9000થી વધારે દીકરીને તલવાર રાસ શીખડાવવામાં આવ્યો છે. જેસલરાજ ટ્રસ્ટ દ્વારા 275 જેટલા ઝૂંપડપટ્ટીના બાળકોને દત્તક લેવામાં આવ્યા છે જેઓને શિક્ષણ અને ભોજનની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવી છે. આ ઉપરાંત વિધવા મહિલાઓ અને ગરીબ મહિલાઓને રાશનકિટ આપવામાં આવે છે અને સાથે મહિલાઓને લગતા જેવો કે જૂડો કરાટે, સેલ્ફ ડિફેન્સ, ઘોડેસવારી, રાઇફલ શૂટિંગ, નારી નીડરતા સેમિનાર વગેરે કરવામાં આવે છે. 300થી વધારે મહિલાઓને સીવણ ક્લાસના કોર્સ કરાવીને આત્માનિર્ભર બનાવ્યા છે. આ સેવા પાછળ પૂજાબાએ વેઠેલું અગણિત દુઃખ હતું. કોઈ પણ મહિલા માટે આ દુઃખને વિસરવું ખૂબ જ કઠિન છે. ક્ષત્રિય સમાજની મર્યાદાઓ વચ્ચે સમાજ સેવામાં કસોટીઓ પડી ત્યારે પતિ દીવાલ બની ગયાવનરાજસિંહ જાડેજાએ એક જ દિવસે પિતા અને પુત્ર બંને ગુમાવ્યા’તા. પોતાનું દુઃખ ભૂલી તેમણે પહેલા પત્નીને સંભાળ્યા. સમાજ શું કહેશે તેની ચિંતા કર્યા વગર પૂજાબા જાડેજાને બહાર નીકળવાની, સેવા કરવાની અને પોતાની ઓળખ બનાવવાની પ્રેરણા આપી. પૂજાબા ક્ષત્રિય સમાજમાંથી આવે છે, જ્યાં સ્ત્રી માટે બહાર નીકળવું, જાહેર કાર્યોમાં જોડાવું અને અજાણ્યા લોકો સાથે કામ કરવું સહેલું નથી, પરંતુ પતિ વનરાજસિંહે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મુક્યો. લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર પત્નીના આત્મવિશ્વાસને પાંખો આપી. ક્ષત્રિય સમાજની મર્યાદાઓ વચ્ચે પણ આગળ વધી પૂજાબા જાડેજાએ સાબિત કર્યું કે, ‘માતા શક્તિ ત્યારે અપરિમિત બને છે, જ્યારે પતિ વિશ્વાસની દીવાલ બનીને સાથે ઊભા રહે છે.’ આજે પૂજાબાની દરેક સિદ્ધિ પાછળ વનરાજસિંહનો વિશ્વાસ છે. જે સાબિત કરે છે કે, સ્ત્રીની સફળતામાં પતિ માત્ર સાથ નથી આપતો, તે તેની શક્તિ બની જાય છે. એક જ દિવસે પિતા અને પુત્ર બંને ગુમાવનાર પતિએ પત્નીને તૂટવા ન દીધી અને આજે એ જ પત્ની હજારો દીકરીઓની ઢાલ બની છે’

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:44 am

મંડે પોઝિટીવ:ઠાકોરજી અને માતાજીની પૂજા સાથે પીરબાપાની બંદગી

આજે દેશમાં મંદિર-મસ્જિદ વિવાદમાં જ્ઞાનવાપી મસ્જિદ (વારાણસી), કુતુબમિનાર (દિલ્હી) અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ (મથુરા) જેવા ઐતિહાસિક સ્થળો પરના દાવાઓ અને પુરાવાઓન આધારે કાનૂની લડાઈઓ ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારામાં રહેતો આશર પરિવાર ધર્મના નામે લડતા લોકો માટે સર્વધર્મ સમભાવનું અનોખું દૃષ્ટાંત પૂરું પાડી રહ્યો છે. ચુસ્ત વૈષ્ણવ પરિવારના 10 હજાર ફૂટના વિશાળ ઘરમાં પીરનું પીરાણું આવેલું હોવાથી ઠાકોરજી અને માતાજીની પૂજા સાથે આશર પરિવાર પીરબાપાની પણ એટલી જ આસ્થાથી બંદગી કરી નિયમિત પૂજા-પાઠ કરે છે. ટંકારા શહેરમાં આર્યસમાજ પાછળ આવેલ ગામઠી શાળાવાળી શેરીમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું સ્વ.શાંતિલાલ વલ્લભભાઈ આશરનું (કુમારભાઈ ભાટિયા) ઘર આવેલું છે. 10 હજાર ચોરસફૂટ મકાનમાં આશર પરિવારના 25 સભ્ય વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. આશર પરિવાર વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવતો હોય તેમના ઘરમાં જમુનાજીથી આવેલા ઠાકોરજી બિરાજમાન છે. સાથે જ રાજબાઇ માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોવાથી ઘરમાં માતાજીનો મઢ પણ સ્થાપિત કરાયોછે. બીજીતરફ ટંકારા મોસાળમાં રહેતા આશર પરિવારના સંયુક્ત પરિવારને ઘર ટૂંકું પડતા 1993માં તેમના ઘરને લાગુ મકાન ખરીદ કર્યું જેમાં પીરબાપાનું પીરાણું હોવાનું જાણવા છતાં આશર પરિવારે આ મિલકત ખરીદી અને જેટલી શ્રદ્ધાથી ઠાકોરજી અને માતાજીની પૂજા અર્ચના કરે છે તે જ રીતે પીરબાપાની પણ બંદગી શરૂ કરતા આશર પરિવારને ખૂબ સારા પરિણામો મળી રહ્યા હોય આસ્થાપૂર્વક આજે બીજી અને ત્રીજી પેઢીના લોકો પણ વડીલોના રસ્તે ચાલી સર્વધર્મ સમભાવની ભાવના નિભાવી રહ્યા છે. તાજિયાની તૈયારી સમયે આશર પરિવારની નિયમિત હાજરી, દરરોજ ચા પીવડાવેનાના એવા ટંકારામાં હિન્દુ-મુસ્લિમ બન્ને જ્ઞાતિનો વસવાટ છે. હિન્દુ સમાજના ઘરમાં પીરબાપાનું પીરાણું હોય નાના એવા ગામમાં લોકો વાર તહેવારે માતાજી અને ઠાકોરજીના દર્શનની સાથે ઘરના પ્રાંગણમાં આવેલ પીરબાપાના પણ અચૂક દર્શનનો લહાવો લેતા હોય છે. મહત્ત્વનું છે કે, આશર પરિવાર દ્વારા પીરબાપાની નિયમિત બંદગી સાથે જ્યારે જ્યારે મુસ્લિમ બિરાદરોનો તહેવાર હોય ત્યારે અચૂક કોલ્ડ્રીંક્સ-પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને માતમના પર્વમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જેટલો સમય ચાલે તેટલો સમય આશર પરિવાર તરફથી દરરોજ રાત્રિના તાજિયા બનાવતા સ્વયંસેવકોને ચા પીવડાવવામાં આવે છે. ઠાકોરજીને ધરાવાતો ભોગ પીરબાપાને પણ ધરવામાં આવે છેવૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટાવેલા ઠાકોરજીને ભોગ પ્રસાદ ચડાવાતો હોય છે ત્યારે આશર પરિવાર પણ ઠાકોરજીને વિવિધ ભોગ પ્રસાદ ધરાવવાની સાથે પીરબાપાને પણ ભોગ લગાવે છે. ઈદ તેમજ અન્ય મુસ્લિમ તહેવાર સમયે વિશેષ મિષ્ટાન્ન તેમજ નિયમિત રૂપે ધૂપ, દીપ અને લોબાન કરવામાં આવતો હોવાનું ગોવિંદભાઇ આશરે જણાવ્યું હતું. 1955થી ગરબી પણ યોજે છે ટંકારા શહેરમાં રાજબાઇ માતાજીની ગરબી ખૂબ જ પ્રચલિત છે. અહીં બાળાઓને રાસ-ગરબા રમતી જોવી એક લહાવો છે ત્યારે આશર પરિવારના મોભી સ્વ.શાંતિલાલભાઈ એટલે કે, કુમારભાઈ ભાટિયા દ્વારા 1955થી આ ગરબી મંડળ શરૂ કરવામાં આવ્યું હતું. આ ગરબીમાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ઉદારહાથે ફાળો આપવામાં આવતો હોવાનું કુમારભાઈના ભાઈ લલિતભાઈએ જણાવ્યું હતું. આ કારણે કરે છે બંદગીટંકારા આર્યસમાજ પાછળ આવેલી ગામઠી શાળાવાળી શેરીમાં રહેતા આશર પરિવારના મોભી એવા નિવૃત્ત બેન્ક મેનેજર લલિતભાઈ જણાવે છે કે, વર્ષોથી તેમનો પરિવાર ટંકારા મોસાળમાં સ્થાયી થયો હતો. 1993ના દાયકામાં તેમની દીવાલને જ અડીને આવેલ મકાન વેચાણ થતું હોય મકાન ખરીદ કરવા માટે તેમના માતાને પૂછતાં માતાએ કહ્યું હતું કે, આ મકાન ખરીદી લો, જોકે મકાનમાં પીરબાપાની જગ્યા આવેલ હોય મનમાં થોડો ડર હતો, પરંતુ તેમના માતાએ કહ્યું હતું કે, આપણે જેમ ઠાકોરજી અને માતાજીની પૂજા કરીએ છીએ તેમ યથાશક્તિ પીરબાપાની પણ પૂજા બંદગી કરીશું. બસ માતાની મંજૂરી મળતાં જ લોહાણા મહાજન પાસેથી મિલકત ખરીદી અને ત્યારથી આસ્થા સાથે ભગવાન અને પીરબાપાની પૂજા કરી સારા પરિણામ મેળવી રહ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:41 am

વેધર રિપોર્ટ:ઠંડા પવનોથી શહેરમાં ઠંડીનું જોર યથાવત્, રાજકોટ 13.3

રવિવારે શહેરના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થયો ન હતો. દિવસ દરમિયાન ઠંડા પવનોથી મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો જોવા મળ્યો હતો. આગામી 2 દિવસો દરમિયાન રાજકોટમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારથી ઠંડા પવનો ચાલુ રહેતા શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. આગામી બે દિવસ દરમિયાન શહેરમાં ઠંડકનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે. 12.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી શહેર સૌથી ઠંડું નોંધાયું હતું. આગામી બે દિવસો દરમિયાન રાજકોટમાં ઠંડીનો પારો 13 ડિગ્રી આસપાસ રહશે. ત્યારબાદ ઠંડીનો પારો 17થી 18 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:37 am

કુપોષણ સામે લડત:રાજકોટમાં દર મહિને પોષણ કિટથી 4000 બાળકો બન્યા સુપોષિત

કુપોષણ આજે પણ અનેક બાળકોના સ્વસ્થ વિકાસમાં મોટો અવરોધ બની રહ્યું છે. ત્યારે સમાજમાં માનવતાની સાચી સેવા કરતી શેર વિથ સ્માઈલ નામની સંસ્થા દ્વારા કુપોષિત બાળકોને દર મહિને પોષણ કિટ આપે છે. આ સતત પ્રયાસના પરિણામે 7 વર્ષમાં 4000 બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા મળી છે. સંસ્થા દર મહિને 200થી વધુ બાળકોને ન્યુટ્રિશન એટલે કે પોષણ કિટ આપે છે જેમાં ન્યુટ્રિશનના પાઉડર ઘી,ગોળ,ખજૂર, દાળિયા સહિતની કિટનું વિતરણ કરે છે. આ કિટમાં ત્રણ તબક્કાઓ જોવા મળે છે. પહેલા અતિ કુપોષિત ત્યારબાદ મધ્યમ અને પછી સામાન્ય બાળક બને છે. દર મહિને થતા કેમ્પમાં બાળકની સાથે તેમની માતા પણ હાજર હોય છે ત્યારે આરોગ્યની ટીમ બોલાવી માતાઓનું પણ કાઉન્સેલિંગ કરી સમજણ આપવામાં આવે છે. આ ટીમ દ્વારા બાળકોની ઊંચાઈ, વજન તથા મેડિકલ ચેકઅપ કરી બાળકને જો બીજી બીમારી હોય તો તેની નિ:શુલ્ક દવા પણ આપે છે. આ તકે સંસ્થાના પ્રમુખ કપિલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગ્રૂપમાં 250થી વધુ સભ્ય છે. જેમાં કોઈનો બર્થ ડે, સ્વજનની તિથિ, એનિવર્સરી જેવા દિવસો આવતા હોય તો અન્ય જગ્યાએ ખર્ચ ન કરી દરેક લોકો ફંડ ભેગું કરે છે અને કેમ્પમાં ઉપયોગ કરે છે. આવા દિવસે ખોટા ખર્ચા ન કરી દરેક લોકો પુણ્યનું ભાથું બાંધે છે. દરેક સેવાકીય સંસ્થા ઘણા સેવાકીય કાર્યો કરે છે, પરંતુ આવા બાળકો માટે કોઈ કાર્ય ન કરતું હોવાથી આ કુપોષિત બાળકો માટે સેવાયજ્ઞ હાથ ધરાયો. બાળકો માટે વર્ષમાં ફનફેરનું આયોજનસંસ્થા દ્વારા દર મહિને માત્ર કિટ અપાય છે તેટલું જ નહીં, પરંતુ વર્ષમાં એક વખત પોષિત બાળકો માટે ફનફેરનું પણ આયોજન કરાય છે. શહેરના લક્ષ્મીનગર ત્રિશૂલ ચોકમાં આવેલા પ્લોટ ખાતે બાળકો માટે વિવિધ રાઈડ્સ, જમ્પિંગ, ટ્રેન જુદા જુદા કાર્ટૂન કેરેક્ટર ડીજે તથા જમણવાર ગોઠવી દરેક બાળકોને મોજ કરાવે છે. આ ઉપરાંત દર મહિને થતા કેમ્પમાં એમ.આર. એટલે કે મેન્ટલી રિટાયરમેન્ટ હોય તેવા બાળકોને ઘરે જઈને પોષણ કિટ આપવામાં આવે છે. આ કાર્ય અંગે સંસ્થાને એક એવોર્ડ અને 20થી વધુ સન્માનપત્રો મળી ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:36 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મવડીની સૂચિત રાજદીપ સોસાયટીને રોડ-રસ્તા બાબતે અન્યાય, કોર્પોરેટર ઉદાસીન

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મવડી વિસ્તારમાં આવેલી સૂચિત રાજદીપ સોસાયટીના રહેવાસીઓને મહાનરગપાલિકા અન્યાય કરી રહી હોવાના આરોપ સાથે બે દિવસ પૂર્વે લોકોએ હલ્લા બોલ કરી સારા રોડ-રસ્તા આપવાની માંગ સાથે રામધૂન બોલાવી. આ વિસ્તારના નગરસેવકને પણ ઘેર્યા હતા. 50 ફૂટના રોડ પર આવેલ રાજદીપ સોસાયટી સૂચિત સોસાયટી હોવાથી લોકોને સુવિધા આપવામાં આવતી ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી રાજદીપ સોસાયટીની શેરીઓમાં પાઇપ લાઇન બિછાવવાની કામગીરીના કારણે ડામર રોડ ખોદી નાખવામાં આવ્યો છે. હાલમાં પાઇપલાઇન બિછાવવાનું કામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં શેરીના આંતરિક રસ્તાઓ રિપેર કરવામાં ન આવતા વાહન ચલાવવામાં તો ઠીક લોકોને પગપાળ જવામાં પણ ગોથા ખાવા પડી રહ્યા છે. સૂચિત સોસાયટીના કારણે મહાનગરપાલિકા સુવિધા આપતી ન હોવાથી તાજેતરમાં રાજદીપ સોાસયટીના રહેવાસીઓ શેરીમાં બેસી રામધૂન બોલાવી મહાનગરપાલિકાની રીતિ-નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ નજીકમાં રહેતા આ વિસ્તારના નગરસેવકના ઘેરે પહોંચીને પણ રાજદીપ સોસાયટીની મુખ્ય શેરીઓમાં લોકો ચાલી શકે તેવા રસ્તા બનાવવા માગણી ઉઠાવી છે. મહત્વનું છે કે અહીં 1000થી પણ વધુ લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે પાણી અને ડ્રેનેજની સુવિધા આપતી આરએમસી સત્વરે સારા રસ્તા બનાવે તેવું લોકો જણાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:33 am

એકલતા નહીં હવે સંગાથ મળશે:વૃદ્ધાવસ્થામાં ખાલીપો પૂર્ણ કરવાનો જલારામ ટ્રસ્ટનો પ્રયાસ

સમાજમાં ઘણીવાર એવું માનવામાં આવે છે કે, જીવનસાથીની જરૂર માત્ર યુવાની સુધી જ હોય છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં જ્યારે સંતાન પોતપોતાના જીવનમાં વ્યસ્ત બની જાય છે ત્યારે સૌથી વધુ જરૂર પડતી હોય છે – એક સંવેદનશીલ સાથની. આ વિચારને હકીકતમાં ફેરવતું એક અનોખું અને માનવતાભર્યું કાર્ય શહેરના જલારામ ભક્તિધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાએ 60 વર્ષથી વધુ ઉંમરના યુવક, યુવતી, વિધવા તેમજ વિધુર માટે વોટ્સએપમાં “જલારામ 60+ યુવક,યુવતી’ નામનું વિશેષ ગ્રૂપ બનાવી જીવનસાથી ગોતવામાં મદદરૂપ થતી પહેલ શરૂ કરી છે. આ ગ્રૂપ માત્ર સંબંધ બાંધવાનો પ્રયાસ નથી, પરંતુ એકલતામાં જીવતા વૃદ્ધોને ફરી જીવનનો અર્થ આપવા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. સંસ્થાના પ્રમુખ ભરતભાઈ લાલસેતાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે ભરતભાઈ બુદ્ધદેવના નામથી અજાણ્યો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે, 60 વર્ષથી વધુના વૃદ્ધો માટે આ કાર્ય શરૂ કરો અને ત્યારે તેમણે એક કિસ્સો કહીને પણ સંભળાવ્યો હતો કે, રાજકોટના એક બિલ્ડર હતા જેને કરોડોની સંપત્તિ હોવા છતાં એકલવાયું જીવન કોરી ખાતું હતું. આ વાત પરથી વિચારને અમલમાં મૂક્યો. પ્રમુખે જે ગ્રૂપ બનાવ્યું તેમાં ફોન આવ્યો તેને એડમિન બનાવ્યા. આ ઉપરાંત આજના સમયે પણ ટ્રસ્ટની ઓફિસે 70 વર્ષની વયે બીજા લગ્ન કરવા તેવી માંગ સાથે મુલાકાતે આવે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:29 am

સંસ્કાર-જ્ઞાનનું નવું સરનામું:2.68 કરોડના ખર્ચે ‘સ્માર્ટ’ બની ખોડિયાર પ્રાથમિક શાળા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મા ખોડિયાર પ્રાથમિક શાળા નં.76ના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ શિક્ષણમંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા–મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂ.2.68 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન શિક્ષણ જગતમાં નવી ઊર્જા પૂરી પાડશે. આ માત્ર ઇમારત નહીં, પરંતુ સંસ્કાર અને જ્ઞાનનું નવું સરનામું આ શાળા બનશે. રૂ.2.68 કરોડના ખર્ચે નિર્મિત આ શાળાભવનમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શિક્ષણમંત્રીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પ્રેરક સંવાદ પણ સાધ્યો હતો. આ હાઈટેક સ્કૂલમાં આધુનિક શિક્ષણ પદ્ધતિ માટે સ્માર્ટ ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. વિજ્ઞાનના પ્રયોગો માટે અદ્યતન પ્રયોગશાળા અને કમ્પ્યૂટર લેબ બનાવી છે. વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે રમતગમતનું વિશાળ મેદાન પણ આ સ્કૂલમાં ઉપલબ્ધ છે. લોકાર્પણ બાદ મંત્રીએ શાળાના તમામ વર્ગખંડોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતગમત તથા વિજ્ઞાનના પ્રયોગો અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે જાપાન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આચાર્ય જુહીબેન માંકડ તેમજ શાળાના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. નવા ભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું કે, આ માત્ર એક ઇમારત નથી પણ ભવિષ્યની પેઢીને મજબૂત કરનાર વિદ્યાભવન છે. આ નવું ભવન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે આશીર્વાદરૂપ બનશે. મંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડે પણ પ્રેરક સંબોધન કર્યું હતું અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:28 am

નાગરીકોએ સફાઈની જાતે પહેલ કરી:રાજકોટમાં 50થી વધુ સોસાયટીએ સફાઈની કમાન સંભાળી

રાજકોટમાં ગંદકી, કચરો અને મચ્છરજન્ય રોગચાળાને લઈને સતત નકારાત્મક ચર્ચા થાય છે, પરંતુ આ ચર્ચાની વચ્ચે શહેરના ગલી-મોહલ્લાઓમાં એક સકારાત્મક અને ઓછું ચર્ચાતું પરિવર્તન શાંતિથી થઈ રહ્યું છે. અહીં નાગરિકો હવે ફરિયાદ નોંધાવવાની રાહ જોયા વગર જાતે જ સફાઈ માટે આગળ આવી રહ્યા છે, અને તેનો સીધો ફાયદો વિસ્તારની સ્વચ્છતા અને આરોગ્ય પર દેખાઈ રહ્યો છે. હાલ રાજકોટમાં 50થી વધુ સોસાયટીઓમાં સફાઇની જવાબદારી ત્યાંના રહીશોએ સંભાળી છે. સ્થાનિક રિપોર્ટિંગ અને નાગરિક સૂત્રોના આધારે જાણવા મળ્યું છે કે, રાજકોટની અંદાજે 50થી વધુ સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં રહેવાસીઓએ સફાઈની જવાબદારી જાતે સંભાળી લીધી છે. આ વિસ્તારોમાં વોટ્સએપ ગ્રૂપ બનાવી કચરો, ગંદું પાણી, તૂટેલી ડ્રેનેજ, ખુલ્લા પ્લોટમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ પર સતત નજર રાખવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં નાની સમસ્યા દેખાતાં જ સ્થાનિક સ્તરે ઉકેલ લાવવામાં આવે છે. ક્યાંક સ્વખર્ચે ડ્રેનેજ સાફ કરાવવામાં આવી છે, તો ક્યાંક ખુલ્લા ટાંકા બંધ કરાયા છે. પરિણામે મચ્છર ઉત્પત્તિ અટકી છે અને ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચામડીના રોગના કેસમાં ઘટાડો નોંધાયો હોવાનું સ્થાનિકો કહે છે. આ અભિયાનમાં મહિલાઓ, વડીલો અને યુવાનો સૌ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ગંદકી ફેલાવનારને ટોકટાક કરવામાં આવે છે, જેથી વિસ્તારની સ્વચ્છતા જળવાઈ રહે. પહેલાં નાની સમસ્યા માટે દિવસો સુધી તંત્રની રાહ જોવી પડતી, હવે શરૂઆતમાં જ સમસ્યા અટકાવી શકાય છે. આ નાગરિક ભાગીદારીથી એક મહત્ત્વનો બદલાવ એ છે કે, સફાઈને હવે ફક્ત તંત્રની જવાબદારી માનવામાં નથી આવતી. ‘સરકાર પહેલાં આપણે’ની ભાવનાથી ઊભેલો આ અભિગમ રાજકોટ માટે એક પોઝિટિવ મોડેલ બની રહ્યો છે. જો આ પહેલને વ્યાપક સમર્થન મળે, તો શહેર સ્વચ્છ રાખવામાં તંત્ર પરનો ભાર પણ ઘટી શકે છે. સ્થાનિક રહીશો દ્વારા સફાઇ થતી સોસાયટીઓની યાદી

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:27 am

નવીન બસ શરૂ કરાઈ:રાજકોટ-ગાંધીનગર વચ્ચે કાલથી દોડશે STની AC બસ, ભાડું 452

રાજકોટ અને સૌરાષ્ટ્રના મુસાફરોની લાંબા સમયની માગણીને સ્વીકારીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજકોટથી ગાંધીનગર વચ્ચે નવીન એ.સી. સીટર બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તા.20 જાન્યુઆરીને મંગળવારથી આ સેવાનો પ્રારંભ કરાશે. રાજકોટથી આ બસ દરરોજ સાંજે 16.00 કલાકે ઉપડશે અને રાત્રે 21.00 કલાકે ગાંધીનગર પહોંચશે. વળતી મુસાફરીમાં, ગાંધીનગરથી સવારે 7 કલાકે ઉપડીને બપોરે 12.30 કલાકે રાજકોટ પરત આવશે. આ લક્ઝુરિયસ મુસાફરી માટે મુસાફરોએ માત્ર રૂ.452નું ભાડું ચૂકવવાનું રહેશે. આ નવીન એ.સી. બસ સર્વિસનો પ્રારંભ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હસ્તે કરાશે. ફ્લેગ ઓફ કાર્યક્રમ મંગળવારે સાંજે 16 કલાકે ઢેબર રોડ પર આવેલા એસ.ટી. બસપોર્ટ ખાતે યોજાશે. આ નવી એ.સી. સીટર બસ સેવા માટે એસ.ટી. નિગમ દ્વારા સ્પર્ધાત્મક ભાડું નક્કી કરાયું છે. આ બસ ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર અને રાણીપ થઈને ગાંધીનગર પહોંચશે. 10 વોલ્વો, 20 AC સીટર અને 21 ઈલેક્ટ્રિક બસ દોડે છેરાજકોટ એસ.ટી. તંત્ર મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે અનેક પ્રીમિયમ સેવાઓ ચલાવી રહ્યું છે જેમાં 10 વોલ્વો સીટર બસ દ્વારા અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા જેવા રૂટ આવરી લેવાયા છે. 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, દ્વારકા અને અંબાજી જેવા વિવિધ 21થી વધુ રૂટ પર કાર્યરત છે. 23 ઈલેક્ટ્રિક બસ દ્વારા જામનગર, મોરબી અને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા રૂટ પર પર્યાવરણલક્ષી પરિવહન સેવા અપાય છે. આ નવી એ.સી. સર્વિસથી ગાંધીનગર જતા સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓને મોટો ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:25 am

ડર દૂર કરવાનો દરવાજો:20 ફૂટ ઉંચા સ્તંભ પર ચડી ડંકો વગાડે તેને જ શાળામાં પ્રવેશ

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતક તમામ વિદ્યાર્થીઓ 17થી 18 વર્ષના હતા, પરંતુ આત્મબળ અને લાઈફ સેવિંગ સ્કિલના અભાવે જીવ ગુમાવવો પડ્યો, એ જ રીતે મોરબીના ઝૂલતા પુલ કેસમાં મોટાભાગના લોકો શિક્ષિત અને યુવાન હતા છતાં પણ પોતાનો જીવ બચાવી શકાય તેવી આવડતના અભાવે મૃત્યુને ભેટ્યા હતા. આવી ઘટનામાંથી બોધપાઠ મેળવી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સરકારી શાળાના આચાર્યએ આવનારી પેઢીને સશક્ત કરવા ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે. વાઘગઢ સરકારી શાળામાં પ્રવેશ માટે બાળકમાં બીજી કોઈ લાયકાત હોય કે ન હોય, પરંતુ 20 ફૂટ ઉંચા સ્તંભ પર ચડી ઉપર ટાંગવામાં આવેલ ઘંટ વગાડે તેવા બાળકોને જ પ્રવેશ મળે છે. જોકે આટલી ઊંચાઈ પર ન ચડી શકતા બાળકોને પ્રવેશ નથી અપાતો એવું નથી, પરંતુ આવા બાળકોને હિંમત આપી તેમનો ડર દૂર કરી એડવેન્ચર પ્રવૃત્તિને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં ઝૂલતા પુલ જેવું મોડેલ, આર્મીની જેમ જ કોણી અને ઘૂંટણ વડે ચાલી સાંકડી જગ્યામાંથી પસાર થવા સહિતની તાલિમ સલામતીની પૂરતી વ્યવસ્થા સાથે બાળકોને આપવામાં આવે છે. શાળાના 76 પૈકી 42 બાળકો સ્ટેટ લેવલે રમી રહ્યા છેવાઘગઢ શાળામાં બાળકોને ભણતરની સાથે રમતગમત અને એડવેન્ચર અંગે પણ કાળજીપૂર્વક શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાથી શાળામાં આવતા કુલ 76 બાળકો પૈકી 42 બાળકો ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ જેવી સ્પર્ધામાં સ્ટેટ લેવલે વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવાનું શાળાના આચાર્યએ ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:24 am

ભાસ્કર બ્રેકિંગ:રાજકોટમાં યોજાશે એશિયાનો સૌથી મોટો દેશી ગીર અને કાંકરેજ ગાયનો શો

ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત ઉદ્યોગોને સરકાર પણ પ્રોત્સાહન આપે છે. તેના જ ભાગરૂપે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા.20થી 22 ફેબ્રુઆરી દરમિયાન એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયોનો કેટલ શો યોજાવા જઈ રહ્યો છે જેમાં ફક્ત ગીર અને કાંકરેજ જાતિની ગાય અને નંદીઓને પસંદ કરી ઈનામો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત દેશી ગાયના સંવર્ધન સહિતના કાર્યક્રમો થશે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફેડરેશન ઓફ ઈન્ડિજીનિયસ ઝીબુ કેટલ દ્વારા સ્વદેશી પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે ખાસ પ્રકારના ઈન્ડિયન કેટલ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઈને રાજકોટમાં તેની રીજનલ કચેરી પણ કાર્યરત છે. આ કેટલ શોનો હેતુ ગૌ પાલકો અને ખેડૂતોને એક મંચ પર લાવીને સ્વદેશી ગાયો કાંકરેજ અને ગીરના વધુમાં વધુ સંવર્ધન અને તેના પાલનથી આર્થિક, સામાજિક સમૃદ્ધિ લાવવા પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ કેટલ શોમાં હજારો એન્ટ્રી આવી હતી જોકે તેમાંથી પ્રદર્શન માટે 250 શ્રેષ્ઠ પશુઓ પસંદ કરાયા છે. આ પશુઓમાંથી ગીર અને કાંકરેજ પ્રજાતિની શ્રેષ્ઠ ગાય, નંદી અને વાછરડાં પસંદ કરાશે તેમજ એક ચેમ્પિયન ઓફ ધ શોનો પણ એવોર્ડ અપાશે. આ કેટલ શોમાં 22થી વધુ દેશના પ્રતિનિધિઓ આવશે. ગૌપાલન-ગૌસંવર્ધન કરતા વૈજ્ઞાનિક કરશે સંવાદઆ કેટલ શોમાં ગૌપાલન અને ગૌસંવર્ધન કરતા તેમજ તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો ગૌ સંવાદ કરશે. ગીર અને કાંકરેજની પ્રજાતિમાં ઉત્તમ વંશ સુધારો કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત ગાય, ગામડું અને ખેતી એમ ત્રણેયના સમન્વય એવી ગૌ આધારિત ખેતી કરતા નિષ્ણાતો હાજરી આપશે. તેઓ ગૌ આધારિત સંસાધનોથી આર્થિક સદ્ધરતા વિશે માહિતગાર કરશે. 500થી વધુ નિષ્ણાતો અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી આવશે. આ કેટેગરીમાં અપાશે એવોર્ડ રાજકોટમાં ગૌપાલકોથી જિનેટિક્સ કંપની, વિવિધ સંસ્થાઓ સહિતના આટલા કેટલ શોનો ભાગ બનશે

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:21 am

સિટી એન્કર:‘સેવાનો શનિવાર’ ઝુંબેશ થકી વિદ્યાર્થીઓને આપ્યા શિક્ષણ સાથે સેવાના સંસ્કાર, 8 માસમાં 11 હજાર દર્દીને ગરમાગરમ ભોજન કરાવ્યું

રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા ગીતાંજલિ ગ્રૂપ દ્વારા છેલ્લા આઠ મહિનાથી એક એવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેણે માનવતાની મહેક પ્રસરાવી છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમના ગુરુદેવ પુનિતઆચાર્યજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલો ‘સેવાનો શનિવાર’ આજે હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વીકેન્ડ પાર્ટી નહીં, પણ વીકેન્ડ સેવાને જ મંત્ર બનાવી ગીતાંજલિ ગ્રૂપ દર શનિવારે સિવિલ હોસ્પિટલના દર્દીઓને પૂરી, શાક સહિતનું ભોજન કરાવે છે. ‘સેવાનો શનિવાર’ ઝુંબેશ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સેવાના સંસ્કાર આપ્યા છે અને 8 માસમાં 11 હજાર દર્દીને ગરમાગરમ ભોજન કરાવ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 8 મહિનાથી એક પણ શનિવાર ચૂક્યા વગર આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. દર શનિવારે અંદાજે 350થી 500 લોકો આ ભોજનનો લાભ લે છે. અત્યાર સુધીમાં અંદાજિત 11,000થી વધુ જરૂરિયાતમંદની જઠરાગ્નિને ઠારવાનું પુણ્યશાળી કામ આ સંસ્થાએ કર્યું છે. જ્યારે સમાજમાં સ્વાર્થનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નિઃસ્વાર્થ ભાવે દર્દીઓની જઠરાગ્નિ ઠારવાનું આ કાર્ય સાચા અર્થમાં ‘પરમાર્થ’ છે. ગીતાંજલિ ગ્રૂપની આ પહેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક દીવાદાંડી સમાન છે. ફંડ-ફાળો નહીં, માત્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનું સમર્પણઆ ઝુંબેશની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે, આ કાર્ય માટે કોઈપણ બહારની વ્યક્તિ કે સંસ્થા પાસેથી ફંડ-ફાળો લેવામાં આવતો નથી. ગીતાંજલિ ગ્રૂપના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ તેમજ NCCના કેડેટ્સ પોતાની સ્વેચ્છાએ અને આર્થિક સહયોગથી આ સેવાયજ્ઞને જીવંત રાખી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થા હોવાને નાતે અહીં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પણ વાસ્તવિક જીવનના પાઠ ભણાવવામાં આવે છે. શિક્ષણ સાથે સંસ્કારનું વાવેતર : ટીમવર્કની ભાવના કેળવાય છે 1) યુવા પેઢીનું ઘડતર : વિદ્યાર્થીઓ જ્યારે નાની ઉંમરે આવી પ્રવૃત્તિમાં જોડાય છે, ત્યારે તેમનામાં સંવેદનશીલતા અને માનવ કલ્યાણના સંસ્કારો રોપાય છે. 2) ભવિષ્યના દાનવીર : આજે સેવાનું કામ જોઈને અને કરી રહેલા વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્યમાં કમાણી કરતા થશે, ત્યારે તેમના મનમાં સમાજને કંઈક પાછું આપવાની (Give Back to Society) ભાવના પ્રબળ રહેશે. 3) ટીમવર્ક : NCC કેડેટ્સમાં શિસ્તની સાથે સેવાની ભાવનાનો વિકાસ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:14 am

‘મારા ગુનાની સજા મારો પરિવાર ભોગવે છે’:સાબરમતી જેલમાં જન્મટીપના કેદીની વ્યથા, ‘કાશ, મેં એ પ્રેમ કર્યો જ ન હોત’

‘જ્યારથી મારી ગર્લફ્રેન્ડનું મર્ડર કરીને જેલમાં આવ્યો છું, ત્યારથી મારું આખું ફેમિલી દુ:ખી ને દુ:ખી જ છે. એ લોકો તો કહે છે કે તને છોડાવી લઈશું, પણ આર્થિક રીતે સાવ નબળા પડી ગયા છે. મને કહે છે, જો તેં આવું ન કર્યું હોત તો આપણે સાથે રહેતાં હોત. અહીં પણ મને એ જ ચિંતા થયા કરે છે કે, લોકો મારા પરિવારને શું કહેતા હશે? મારા ગુનાની સજા મારો પરિવાર ભોગવે છે. ઘરમાં કોઈ તહેવાર પણ નથી મનાવતાં. હું અંદર આવ્યો પછી કોઈ પોતાના માટે પણ કંઈ નથી લેતું કે ઘરે પણ કશું નથી લાવતાં. હું બહુ જ મસ્તીખોર હતો. આખો દિવસ ઘરમાં હર્યોભર્યો માહોલ રહેતો. મારા કારણે અત્યારે આખો પરિવાર રમણ-ભમણ થઈ ગયો છે.’ *** બંદીવાનઃ સાબરમતી જેલના કેદીઓની કહાની, તેમની જ જુબાનીઆ શબ્દો છે, અમદાવાદની સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા 27 વર્ષના એક યુવાનના. છેલ્લાં પાંચ વર્ષથી એ જેલમાં કેદ છે. આખા ગુજરાતના કુખ્યાત કેદીઓ જ્યાં પુરાયેલા છે તે સાબરમતી જેલ વિશે તમે ઘણું સાંભળ્યું હશે! ક્યારેક એવું કુતૂહલ પણ થતું હશે કે તે અંદરથી કેવી દેખાતી હશે? અંદર કેદીઓ કેવી રીતે રહેતા હશે? શું શું સુવિધાઓ મળે છે? કેદીઓનું જીવન કેવું છે? અને ખાસ તો આજીવન જેલની સજા ભોગવતા કેદીઓની મનોદશા કેવી છે? શું તેમને પોતાનાં કૃત્યોનો કોઈ પશ્ચાતાપ છે ખરો? બસ, આ જ તમામ સવાલોના જવાબ માટે અમે લઈને આવ્યા છીએ નવી સિરીઝ, ‘બંદીવાન’! આજથી શરૂ થતી આ સીરિઝમાં આપણે જાણીશું કેદીઓની કહાની. જે માટે અમે સાબરમતી જેલની અંદર આજીવન કેદની સજા કાપી રહેલા કેદીઓ સાથે મુલાકાત કરી અને એમની કહાનીની સાથે મનોદશા જાણી. ક્યારેક કોઈએ આવેશમાં આવી ક્રાઇમ કર્યો, તો કોઈએ બદલો લેવા. ક્યારેક કોઈથી અજાણતા ગુનો થઈ ગયો તો કોઈ અત્યારે એ પશ્ચાતાપમાં જીવી રહ્યા છે કે તેમણે કરેલા ગુનાહિત કૃત્યની સજા આજે તેમનો પરિવાર ભોગવી રહ્યો છે. *** સાબરમતી જેલઃ ગાંધીજી પણ અહીં કેદ રહી ચૂકેલાગુજરાતની સૌથી મોટી જેલ 'સાબરમતી સેન્ટ્રલ જેલ'ની સ્થાપના 1885માં થઈ હતી, જેમાં અંગ્રેજ શાસન વખતે સ્વતંત્રતાનો સંગ્રામ ચલાવી રહેલા ગાંધીજી પણ 1922માં કારાવાસ ભોગવી ચૂક્યા છે. સાબરમતી જેલમાં ટોટલ ત્રણ વિભાગ, જૂની જેલ, નવી જેલ અને મહિલા જેલ. કાચા કામના કેદીઓ, મતલબ કે, જે કેદીઓનો મુકદમો હજુ કોર્ટમાં ચાલુ હોય, એવા કેદીઓએ જૂની જેલમાં રહેવાનું. પાકા કામના કેદીઓ, એટલે કે, જે કેદીઓને કોર્ટે સજા ફટકારી દીધી હોય, એવા કેદીઓએ નવી જેલમાં રહેવાનું. જ્યારે મહિલાઓ માટે અલગ ત્રીજી જેલ, જેમાં મહિલાઓની સાથે 6 વર્ષથી નાનાં બાળકો પણ રહે છે. ત્રણેય જેલ મળી આખું સાબરમતી જેલ પરિસર બને. 104 એકરમાં 4 હજાર કેદીઓ104 એકરમાં ફેલાયેલા સાબરમતી જેલ પરિસરની જૂની જેલમાં 1350, નવી જેલમાં 2600 અને મહિલા જેલમાં 150 આસપાસ મહિલાઓ સાથે રહેતાં 8 બાળકો મળી ચાર હજાર આસપાસ કેદીઓ છે. (રોજની અવર-જવરને કારણે ચોક્કસ આંકડો બદલતો રહે છે.) તેમનું ધ્યાન રાખવા 430 જેલ પોલીસનો સ્ટાફ ત્યાં ને ત્યાં ખડેપગે તૈનાત રહે છે. જેમ દરેક જિલ્લામાં એક એક SP (સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ-જિલ્લા પોલીસ વડા) હોય, એમ સાબરમતી જેલ માટે એક સ્પેશિયલ S.P. હોય છે, જે ચાર્જ હાલમાં યુવા IPS ગૌરવ અગ્રવાલ સંભાળી રહ્યા છે. વેઇટ, હજુ તો ઘણી ઇન્ફર્મેશન છે, આખી સીરિઝમાં રોજે જેલ વિશે આવી થોડી થોડી માહિતી આપણે જાણતા રહીશું. હવે કેદીઓ સાથે મુલાકાત કરીએ. 22 વર્ષનો યુવાન, આજીવન કેદની સજા!‘બંદીવાન’ સિરીઝના આજના પહેલાં એપિસોડમાં વાત કરીશું ‘વિશ્વાસ’ની, એક ઘાયલ પ્રેમીની. જેણે બદલો લેવા જીવ લીધો! વિશ્વાસ હાલ સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. દેખાવે એકદમ યંગ અને ફિટ, સફેદ ઝભ્ભા-ચોયણીમાં માથે પીળી ટોપી પહેરી દાઢીવાળો જુવાનિયો અમારી સામે આવી બેઠો. વિશ્વાસે કહાનીના જડમૂળથી વાતની શરૂઆત કરી, ‘હું મૂળ કલોલનો. પપ્પાએ વૉટરપાર્કમાં નોકરી કરી મને અને મારા એક-એક ભાઈ-બહેનને ભણાવ્યા છે. એટલે 10 સુધી ભણી ઘરે મદદ કરવા મેં વેલ્ડિંગનું કામ શરૂ કરી દીધું. આજે હું જ્યાં છું, એ કહાનીની શરૂઆત થઈ હતી 2021માં! અમારા ઘર પાસે જ એક પાનના ગલ્લે અમારા બધા મિત્રોની બેઠક! રોજે નવરા પડી ત્યાં બેસીએ ને વાતોના ગપ્પાં લડાવવાનાં. ‘એ મારી સામે જોઇને હસી, મને ગ્રીન સિગ્નલ મળી ગયું’અમે જ્યાં બેસતા એ ગલ્લાની બાજુમાં એક છોકરીનું ઘર. રોજે એની ફ્રેન્ડ એના ઘરે આવ-જા કરે. યુ નો વૉટ? એની ફ્રેન્ડને મેં જ્યારે પહેલી વાર જોઈ ને ત્યારથી જ મને એની સાથે ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ ગયો. હું તો એની ખૂબસૂરતી પર ફિદા થઈ ગયો ને એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ. પછી તો એ છોકરીનો આવવા-જવાનો ટાઈમ જોયો ને રોજે આપણી બેઠક પણ એ જ મુજબ સેટ કરી. એ આવવાની હોય એની પહેલાં જ હું ત્યાં સેટ થઈ જઉ. કોઈ જ લફંગાવેડા નહીં, બસ ખાલી પ્રેમથી એને જોવા જ ત્યાં બેસતો., એમાં ય એને ખબર ન પડે એ રીતે ખાલી ત્યાં બેસીને જોયે રાખું. છેલ્લે તો ભાઈબંધો કંટાળ્યા કે, હવે પ્રપોઝ કર નહિતર જોવાનું બંધ કર. ક્યાં સુધી આમ ને આમ બેસીશ? થોડા દિવસો પછી તો એ છોકરીને પણ ખબર પડી ગઈ કે, હું એને જોવા જ ત્યાં બેસું છું. એમાં એક દિવસ એ મારા સામે જોઈને હસી. ધેટ્સ ઓલ! હવે ગ્રીન સિગ્નલ મળી ગયું હતું એટલે પછી કંટ્રોલ ન થયો. હિંમત ભેગી કરી ને કરી દીધું પ્રપોઝ! ‘ચાર વર્ષના પ્રેમ પછી એણે લગ્ન કરવાની ના પાડી દીધી’હા પાડી કે ના? વિશ્વાસ કહે, ‘એ તો હસતી જ હતી, એટલે જેવું મેં પ્રપોઝ કર્યું, પહેલી જ વારમાં ‘હા’ આવી ગઈ. બસ, પછી તો શરૂ થઈ ગઈ અમારી લવ સ્ટોરી. ચાર વર્ષ સુધી અમારી મસ્ત લવ સ્ટોરી ચાલી. પણ પછી ઘરેથી પપ્પા લગ્નનું પ્રેશર કરતાં હતા, એટલે મેં એને લગ્ન માટે પૂછ્યું. તો ચાર વર્ષનાં રિલેશન પછી પણ ચોખ્ખી ના પાડી દીધી કે, મારા ઘરે નહીં માને. આપણે લગ્ન નહીં કરી શકીએ. પપ્પાને લગ્ન ન કરવાનાં બહાનાં બનાવી ઘણા રોક્યા, છોકરીને પણ ઘણી મનાવી, પણ એ એકની બે ના થઈ. છેલ્લે મારા ઘરે કહી દીધું કે, હવે તમે જેમ કહો એમ. પપ્પાએ અમારા સમાજની છોકરી શોધી. બહુ સારી છોકરી હતી. બંને બાજુથી હા આવી એટલે સગાઈની તારીખ નક્કી થઈ, સગાઈ કરી ને શાંતિથી નવા જીવનની શરૂઆત કરી. ‘તું જલદી હોસ્પિટલે પહોંચ, તારી જૂની ગર્લફ્રેન્ડે…’જૂની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ? વિશ્વાસ કહે, ‘ના, સગાઈના છ મહિના થઈ ગયા તો પણ એ મને ફોન કરતી અને અમે વાતો કરતાં. છ મહિના થયા ત્યાં એણે કહ્યું કે, ‘તું પાછો આવી જા, આપણે લગ્ન કરી લઈશું.’ પણ હવે તો વાત આગળ વધી ગઈ હતી. કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મેં પણ કહી દીધું કે, ‘જ્યારે મેં કહ્યું ત્યારે તું ના ના કરતી હતી. હવે પોસિબલ નથી.’ એણે ઘણો ફોર્સ કર્યો, પણ હું માન્યો નહીં. આ બધું ચાલતું હતું ત્યાં એક દિવસ મને એક મિત્રનો ફોન આવ્યો કે, ‘તું જલ્દી હોસ્પિટલ પહોંચ, બીજું બધું તને અહીં આવ એટલે ખબર પડી જશે.’ ‘હું તારા વિના નહીં રહી શકું’હોસ્પિટલ? હોસ્પિટલે શું થયું? વિશ્વાસ કહે, ‘હું સીધો જ ભાગ્યો ને હોસ્પિટલ પહોંચ્યો ત્યાં તો પેલીએ હાથમાં બ્લેડ મારી દીધી હતી. મને જોઈને પણ એ જ કહેવા માંડી કે, ‘મારી સાથે લગ્ન કરી લે. મેં એ જ દિવસે ઘરે વાત કરી. જેવું બોલ્યો એ ભેગું જ પપ્પાએ ખિજાવાનું શરૂ કર્યું, પણ હું મારા પ્રેમ માટે એકનો બે ન થયો. છેલ્લે મેં સગાઈ તોડી નાખી. ફરી અમારું રિલેશન મસ્ત ચાલવા માંડ્યું, પણ થોડા દિવસોમાં મેં નોટિસ કર્યું કે, એનું બિહેવિયર થોડું થોડું બદલાયેલું લાગતું હતું. એટલે મેં એને પૂછ્યું કે, તને મારી સાથે ન ફાવે તો કહી દે, હું જતો રહીશ. તો મને તો ના પાડી, પણ એનું વર્તન બદલી ગયું હતું. કારણ કંઈક અલગ જ હતું. મને છુપાવીને એણે નવો બોયફ્રેન્ડ બનાવી લીધો હતો! મેં ત્યાં ને ત્યાં બ્રેકઅપ કરી લીધું.’ ‘હું ફરી પાછો એની વાતમાં આવી ગયો’સગાઈ પણ તૂટી ને બ્રેકઅપ પણ થયું. તો પછી? વિશ્વાસ કહે, ‘હા, એની સાથે રહેવાનો હવે મતલબ નહોતો, એટલે બ્રેકઅપ કરી લીધું ને બધી જ જગ્યાએથી બ્લોક પણ કરી દીધી. પણ એ ગઈ નહીં, બે મહિના થયા ત્યાં ફરી આવી કે, આપણે સાથે જ રહેવું છે, હું મારું બિહેવિયર બદલી નાખીશ. હું તો એને બહુ જ પ્રેમ કરતો હતો, એણે આટલો મનાવ્યો તો હું ફરી માની ગયો ને ફરી એને ચાન્સ આપ્યો.’ ‘બહાનું બતાવી એના બીજા બોયફ્રેન્ડ સાથે….’પછી બધું બરોબર થઈ ગયું? વિશ્વાસ કહે, ‘ના! થોડા દિવસો પછી એ એનાં દાદી સાથે અમદાવાદ ગઈ. મોબાઇલ પણ ઘરે મૂકીને ગયેલી. પરંતુ મને ખબર પડી કે ફરીપાછી એ પોતાના જૂના બોયફ્રેન્ડ સાથે ફરવા ગઈ હતી. સાંજે મેં ઊલટતપાસ કરી તો એ બીમારીનું કહીને સૂઈ ગઈ. હું ફરી શાંત થઈ ગયો, પણ એ મારી ભૂલ હતી!’ ‘હું જેવો ફળિયામાં પ્રવેશ્યો ત્યાં તો…’કેમ? પછી શું થયું? વિશ્વાસ કહે, ‘જોકે મને ચેન નહોતું પડતું. હું એના ઘરે એની ખબર પૂછવા ગયો, ત્યાં તો એ પોતાના બીજા બોયફ્રેન્ડ સાથે ફળિયામાં ઊભાં ઊભાં વાતો કરતી હતી. મને જોઇને એ અંદર ઘૂસી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હું ગુસ્સામાં પાછો આવતો રહ્યો.’ ‘હું હવે તારી લાઇફમાં ક્યારેય નહીં આવું, તું પણ ન આવતી’વિશ્વાસના ચહેરા પર એ વાતો યાદ કરી કરીને ગુસ્સો સવાર થતો હતો. અમે એને શાંત કર્યો ને વાત આગળ વધારી. પછી શું થયું? વિશ્વાસ કહે, ‘હું મારા ઘરે આવી બહુ જ રડ્યો ને ઘણું વિચારી નક્કી કર્યું કે, મારી બદનામી થાય તેના કરતાં મારે હવે કલોલ જ છોડી દેવું છે, અહીં રહેવું જ નથી. મેં સવારે 10 વાગ્યે એને મેસેજ કરી દીધો કે, ‘તું છેલ્લી વાર મળી લે. મારી બધી વસ્તુ પાછી આપી દે અને હું તને તારી બધી વસ્તુઓ પછી આપી દઉં. આપણે બ્રેકઅપ કરી લઈએ અને ફરી ક્યારેય નહીં મળીએ. મારે હવે સાથે નથી રહેવું.’ ‘એને જોઇ કે તરત જ મેં એના માથામાં દંડો મારી દીધો…’એ તમને મળવા આવ્યાં? વિશ્વાસ કહે, ‘ના. મેં બહાર બેસી 3 વાગ્યા સુધી રાહ જોઈ પણ એ આવી જ નહીં. અંતે કંટાળી હું ઘરે જઈ ચા પીને સૂઈ ગયો. સાંજે પાંચેક વાગ્યે ઊઠી શેરી બહાર રોડ પર પાનના ગલ્લે ગયો, ત્યાં મારી નજર પડી કે રોડ પર એ સાઇકલ લઈને નીકળી! એને જોઇને અચાનક મારા મનમાં ગુસ્સાનો શેતાન જાગી ગયો. હું ક્યાંકથી દંડો લઇ આવ્યો અને મારાથી એને માથામાં મરાઈ ગયું. એ ત્યાં જ ફસડાઈ પડી. મને એ જ ઘડીએ ધ્રાસકો પડ્યો કે આને ગંભીર ઇજા થઇ લાગે છે. મારાથી ન કરવાનું થઈ ગયું, પણ શું કરું. આટઆટલીવાર આવું થયું એમાં હું કંટાળી ગયો હતો. થોડી વારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ ને મને અરેસ્ટ કરી લઈ ગઈ.’ *** ‘પ્રેમના લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ’ખબર પડી કે, હવે એ નથી રહી આ દુનિયામાં, પછી એની સામે ઊભા હતા, ત્યારે તમારા મગજમાં શું ચાલતું હતું? વિશ્વાસ કહે, ‘હું બહુ જ મજાની લાઈફ જીવતો હતો, નોકરી કરવાની ને બાકી ફ્રી માઇન્ડથી મોજ કરવાની. કોઈ જ ટેન્શન નહિ, પણ ગુસ્સાની એક ક્ષણમાં થયેલી આ એક ભૂલના લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ થયા પછી તો મમ્મી-પપ્પા પણ ઘણું ખિજાયાં પણ, મને ગુસ્સો જ એટલો હતો કે એણે મારી સાથે એવું કેમ કર્યું? એટલે ગુસ્સામાં આ પગલું ભરાઈ ગયું.’ ‘મારા કારણે મારાં મમ્મી-પપ્પાં હેરાન થઇ ગયાં’હવે પસ્તાવો થાય છે કે, આવું પગલું નહોતું ભરવાનું? વિશ્વાસ જોરથી એક ઝટકે શ્વાસ બહાર કાઢી કડવા સ્મિત સાથે કહે, ‘આ કરતાં એને છોડી દીધી હોત તો સારું હતું.’ (ચહેરા પર દુ:ખની રેખાઓ દેખાઈ.) અત્યારે પસ્તાવો થાય છે કે, મારા કારણે મારાં મમ્મી-પપ્પા હેરાન થઈ ગયાં. મારા લીધે એ બિચારાઓને દુ:ખ પડે છે. આના કરતાં મેં થોડી ધીરજ રાખી હોત તો આવું ન થાત. એ ટાઈમે હું ગલ્લે જ ન ગયો હોત તો વધારે સારું હતું. મને એમ કે એ બીમાર છે ને ઘરે સૂતી છે, એવું વિચારીને બહાર ગયો એમાં એ દેખાઈ ગઈ ને પછી ગુસ્સા પર કંટ્રોલ ન થયો. જો ગલ્લે ગયો જ ન હોત તો આ મર્ડર થાત જ નહીં.’ ‘મારા ગુનાની સજા મારો પરિવાર ભોગવે છે’ઘરેથી મમ્મી-પપ્પા શું કરે છે? વિશ્વાસનું માથું નીચું થયું, ‘જ્યારથી જેલમાં આવ્યો છું ત્યારથી મારું આખું ફેમિલી દુ:ખી ને દુ:ખી જ છે, ઘરે કોઈ ખુશ જ નથી. આર્થિક રીતે પણ નબળા પડી ગયા છે. એ લોકો તો કહે છે કે છોડાવી લઈશું, છોડાવી લઈશું, જો તેં આવું ન કર્યું હોત તો આપણે સાથે રહેતાં હોત. અહીં પણ એ જ ચિંતા થયા કરે છે કે, લોકો મારા પરિવારને શું કહેતા હશે? મારા ગુનાની સજા મારો પરિવાર ભોગવે છે. ઘરમાં કોઈ ખુશી જ નથી રહી, ઘરે કોઈ તહેવાર પણ નથી મનાવતા. હું આવ્યો પછી કોઈ પોતાના માટે પણ કંઈ નથી લેતું કે ઘરે પણ કશું નથી લાવતા. હું બહુ જ મસ્તીખોર હતો, આખો દિવસ ઘરમાં હર્યોભર્યો માહોલ રહેતો, મારા કારણે અત્યારે આખો પરિવાર રમણ-ભમણ થઈ ગયો છે.’ ‘મારું તો જીવન બગડ્યું, હવે એમને પણ ધક્કા ખવડાવવાના?’ફેમિલી મળવા આવે છે? વિશ્વાસ કહે, ‘હું જ નથી બોલાવતો! અમને અહીં દર શનિવારે પરિવાર સાથે મુલાકાત કરાવે, પણ જેને ન મળવું હોય, એને વીડિયો કોલથી વાત કરાવી આપે. તો હું વીડિયો કોલથી જ વાત કરી લઉં છું. ખોટું શું એ લોકોને હેરાન કરી અહીં મળવા બોલાવવા! મારું તો જીવન બગડ્યું, એમને હવે શું ખોટા ધક્કા ખવડાવવા? ‘22ની ઉંમરે જેલમાં આવેલો, આજીવન કેદ કાપવાની છે’‘કેટલા વર્ષની ઉંમરે જેલમાં આવ્યા હતા?’ વિશ્વાસ કહે, '‘અહીં સાબરમતીમાં આવ્યો ત્યારે 22 વર્ષનો હતો, અત્યારે 27 વર્ષની ઉંમર થઈ ગઈ છે, આજીવન કેદની સજા ભોગવું છું. અત્યારે અહીં કેન્ટીનમાં સમોસા ને એ બધી સામગ્રીનું વેચાણ કરવાના વિભાગમાં કામ કરું છું.’‘ભૂતકાળમાં જઈને કોઈ ઘટના ફરી જીવવાનો મોકો મળે તો શું બદલાવ લાવશો?‘જો ફરી ચાન્સ મળે તો આ લફરું જ ન કરું, એના કારણે જ મારી જિંદગી પતી ગઈ.’ ‘બહાર નીકળીને મારે સિંગર બનવું છે’અમે આગળ પૂછ્યું, ‘જ્યારે પણ જેલની બહાર નિકળશો તો બહાર જઈ શું કરવાની ઈચ્છા છે?’‘સિંગર બનવું છે.’ વિશ્વાસે કહ્યું.‘તમે મ્યુઝિક શીખ્યા છો?’‘હા, હું જેલમાં આવ્યો એ પહેલાં સિંગિંગ શીખવા જતો અને હાર્મોનિયમ પણ શિખતો હતો. અહીં જેલમાં પણ ગીતો ગાઉં છું, રેપ સોંગ પણ લખું છું.’‘તમે લખો પણ છો? તમે લખેલું એક રેપ સોંગ મને સાંભળાવશો?’વિશ્વાસે ખુશ થઈ હા પાડી ને મારી સામે એનું એક જૂનું ગીત ગાવાનું ચાલુ કર્યુંઃ. ‘ગુનાહ કિયા ક્યા, પ્યાર તુજે કરકે; ગુનાહ કિયા ક્યા, તુજકો સમજકે; ગુનાહ કિયા ક્યા, ઇજ્જત તેરી કરકે; ખેલ ખેલી તુ મેરે સાથ એક નંબર; સબકો લગે કિ તુ મુજે પ્યાર કરતી પર કિસી ઔર કે સાથ રહકર તું.....’ આગળ હવે આખું યાદ નથી આવતું. કેમ કે હું અહીં આવ્યો, એ પછીના છ-બાર મહિનામાં લખ્યું હતું. પણ હવે તો કામમાંથી જ નવરો નથી થતો એટલે કશું લખી નથી શકાતું.’ ‘સાચો પ્રેમ કરો, પડદા પાછળ કોઇની સાથે ચીટિંગ ન કરો’આજકાલના પ્રેમી પંખીડાઓને શું કહેશો? વિશ્વાસ અંદરની વેદના ઠાલવતો હોય એમ કહે, ‘પ્રેમ કરવો હોય તો સાચો કરો, પણ કોઈને પડદા પાછળ રાખી ચીટિંગ ન કરો. કોઇની લાગણી ન દુભાવો કે કોઈને છેતરો નહીં. છોકરાઓને તો ખાસ કહીશ કે, જલસા માટે તમારી પાસે આવતી છોકરીઓથી દૂર જ રહો. પણ સાચું કહું ને તો, જે લોકો દિલથી પ્રેમ કરે, એમનું ક્યારેય ટકતું જ નથી. બધા સ્વાર્થી જ છે. પણ પ્રેમમાં પડતી વખતે છોકરાઓ ભોળા રહી જાય છે. એક વાર તમે પ્રેમમાં પડી જાઓ એટલે પછી છોકરીઓને લાગવા માંડે છે કે, આ તો મારા વિના રહી જ નહીં શકે, એટલે એ ગમે તેમ વર્તન કરવા માંડે છે.’ દુ:ખી થઈ વિશ્વાસ મારી સામેથી ઊભો થયો ને વિચારતો વિચારતો રૂમની બહાર નીકળી ગયો. બીજા કેદીએ બીજી કહાની સાથે રૂમમાં પ્રવેશ કર્યો! (નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિેશે જે પણ વાત કહેવામાં આવી છે, એ કેદીઓએ એમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.)

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:00 am

એક નિયમ અને સોના જેવી હજારો વીઘા જમીન થઇ નકામી:મોટા-મોટા ઉદ્યોગપતિઓ સામે વિચિત્ર સમસ્યા, 1000 કરોડ રૂપિયા અટવાયા

વિશ્વભરમાં જેની ટાઇલ્સ અને ઘડિયાળનો ડંકો વાગે છે, ગુજરાતનું એ શહેર જેણે પાયાના પથ્થર બનીને સિરામિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપી, લાખો પરિવારોના સપનાના ઘરને ટાઇલ્સથી ચમકાવ્યું તે શહેર આજે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. એકતરફ ચીન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને ઓવર પ્રોડક્શને કારણે મંદીનો માર છે, તો બીજીતરફ સરકારી નિયમોની એવી વિષમતા છે જેણે મોરબીના સિરામિક ઉદ્યોગના શ્વાસ એવા રૂંધી દીધા છે કે આજે 200થી વધુ ફેક્ટરીઓ ધૂળ ખાઇ રહી છે. એટલું જ નહીં વેપારીઓની સ્થિતિ એવી થઇ ગઇ છે કે તેઓ પોતાની બંધ ફેક્ટરીને પણ વેચી નથી શકતા. જેના કારણે અંદાજે 1000 કરોડ રૂપિયાની 2000 વીઘા પ્રીમિયમ જમીન નકામી બની ગઇ છે. આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ છે બાંધકામની જંત્રીની કિંમત જે વાસ્તવિક કિંમત કરતા 5 ગણી વધારે હોવાથી કોઇ મિલકત ખરીદવા જ તેયાર નથી. આને તમે એકદમ સરળ ભાષામાં સમજો તો જે ઇન્ડસ્ટ્રીયલ શેડ બનાવવાનો ખર્ચ 3,500 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર આવે છે, તેની સરકારી જંત્રી 12,300 રૂપિયા છે. જે અસલ કિંમત કરતા 4થી 5 ગણી વધારે છે. એટલે જો શેડની કિંમત 5 કરોડ હોય તો સરકારી જંત્રીને કારણે તેની કિંમત 20 કરોડથી વધી જાય છે. દિવ્ય ભાસ્કરની ટીમ મોરબી પહોંચી અને સિરામિક ઉદ્યોગકારો, એસોસિએશનના પ્રમુખ અને નિયમના કારણે જે લોકોની ફેક્ટરીઓ બંધ થઇ ગઇ છે તેમની સાથે વાત કરી. સૌથી પહેલા અમે ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા બંધ પડેલા કારખાનાઓની મુલાકાત લીધી. તો જોયું કે કેટલાક કારખાના સાવ ખંડેર હાલતમાં હતા જેમાં મશીનરી પણ ધુળ ખાઈ રહી હતી. કેટલાક કારખાનામાં ઉદ્યોગકારો ટાઈલ્સ મુકી રાખવા માટે ઉપયોગ કરતા હતા. જ્યારે કેટલાક કારખાના અન્ય લોકોને ગોડાઉન તરીકે વાપરવા માટે ભાડે આપી દેવાયા હતા. અમને આ દરમિયાન એક બંધ કારખાનાના માલિક નિશીથભાઈ મળી ગયા. તેઓ જણાવે છે કે, મેં બે વર્ષથી મારું કારખાનું બંધ કરી દીધું છે. આ કારખાનું મારે વેચવું છે પરંતુ બાંધકામની જંત્રીને કારણે કોઈ તેને લેવા તૈયાર નથી. જો આ કારખાનું વેચાય તો તેના પૈસાથી હું બીજો ધંધો કરી શકું.આવો હું એક નહીં મારા જેવા 200થી વધુ કારખાના આ રીતે છે.તેના માલિક પણ અમારી જેમ મુંઝાયેલા છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ મળ્યા જેમણે પોતાનું નામ અમે ઓળખ ન આપવાની સાથે કહ્યું કે સરળ ભાષામા સમજીએ તો જમીનની જંત્રી કરતા અહીં ઉંધુ ચાલી રહ્યું છે. તમે જાણો છો તેમ અનેક જગ્યાએ જમીનની જંત્રી બજાર કિંમત કરતા અનેક ગણી ઓછી છે. અને મોરબીમાં બાંધકામની જંત્રીમાં ઉંધું છે. અહીં જંત્રી બજાર કિંમત કરતા પાંચ ગણી વધું છે. સરકારે આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. 'ફેક્ટરી વેચવાની થાય ત્યારે જંત્રીને કારણે મોટી સમસ્યા થાય છે'જાણીતા ઉદ્યોગકાર મુકેશ ઉધરેજા જેઓ 1994થી પોતાની કલ્યાણ સિરામીક નામની કંપની ચલાવે છે. આ ઉપરાંત તેમના 5થી વધુ કારખાના છે અને જે તે સમયે તેઓ સિરામિક એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અમે તેમની સાથે બાંધકામની જંત્રીની સમસ્યા અંગે વાત કરી તો તેમણે કહ્યું કે, મોરબીમાં જંત્રીની સમસ્યા ખૂબ મોટી છે. ‘ફેક્ટરી બનાવવા સમયે આ જંત્રીથી કોઈ સમસ્યા નથી થતી. પરંતુ જ્યારે આ ફેક્ટરી વેચવાની થાય ત્યારે આ જંત્રીને કારણે મોટી સમસ્યા થાય છે.’‘આ સમયે લેન્ડ અને બાંધકામનો દસ્તાવેજ કરવાનો થતો હોય છે. હવે હકિકત કરતા અહીં બાંધકામની જંત્રી ચાર ગણી છે. એટલે દસ્તાવેજ સમયે વેચાયેલ કિંમત કરતા જંત્રી મુજબ કિંમત પાંચ ગણા કરતા વધુ થતી હોય છે. જેના કારણે કોઈ કારખાનાનું વેચાતું નથી.’ મુકેશભાઈ કહે છે કે, મોરબીમાં આવી એક બે નહીં પરંતુ 200થી વધુ ફેક્ટરી છે. જે વેચાણ ન થઈ શકવાને કારણે બંધ હાલતમાં છે. આ એક યુનિટની કિંમત માર્કેટમાં ઓછામાં ઓછી પાંચ કરોડ હોય છે. આ પાંચ કરોડની કિંમતના યુનિટનો જો દસ્તાવેજ કરવા જઈએ તો તે 18થી 22 કરોડ રૂપિયાનો થાય છે. હકિકતની કિંમત કરતા આટલી વધુ રકમ કોઈ કેવી રીતે ભરી શકે? સરકારની આ નિયમની ખામીને કારણે કોઈ કારખાનાનું વેચાણ થતુ નથી. તેઓ આગળ જણાવે છે કે બાંધકામની જંત્રીના હકિકત કરતા અનેકગણા વધારાના ભાવની સાથે ઘસારાની બાદબાકીની કિંમત પણ એક મોટી સમસ્યા છે. ગુજરાત સરકારના નિયમ પ્રમાણે દર વર્ષે બાંધકામનો ઘસારાનો બાદ 1.20% જેટલો મળે છે. એ ઘસારા પ્રમાણે શેડ 85 વર્ષે ઝીરો થતો હોય છે. ‘બીજી તરફ ઈન્કમટેક્સના નિયમ પ્રમાણે દર વર્ષે બાંધકામનો 10% ઘસારો ગણાય છે. તો પછી જંત્રીના નિયમ પ્રમાણે આટલો ઓછો ઘસારો કેમ? આ અંગે અમે અહીંના ધારાસભ્ય સાથે રહીને ત્રણથી ચાર વાર સરકાર સહિત કમિશ્નરને પણ રજૂઆત કરી છે. અમારા સેક્ટરમાં કોઈ પણ બાંધકામનું 10 વર્ષ પછી કોઈ મૂલ્ય રહેતું નથી જ્યારે જંત્રીના નિયમ પ્રમાણે તે 85 વર્ષે ઝીરો થાય છે. ઈન્કમટેક્સના નિયમ પ્રમાણે બધુ બરાબર છે પરંતુ આ મુજબ જંત્રીના ઘસારામાં દરમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.’ 'કારખાનાની લોન અને સીસીની ભરપાઈ પણ થતી નથી'મેક્સ ગ્રેનાઈટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક સુખદેવભાઈ પટેલનું પણ એક કારખાનું બાંધકામની જંત્રીની સમસ્યાને કારણે ધૂળ ખાઇ રહ્યું છે. તેઓ કહે છે કે, અત્યારે કારખાનાની કિંમત કરતા જંત્રીના ભાવ ચારથી વધુ ગણા છે જેથી લે-વેચ થતી નથી. તેથી 200 જેટલા કારખાના બંધ થયેલા પડ્યા છે. આ કારખાનાની લોન અને સીસીની ભરપાઈ પણ થતી નથી. આ ટેક્નિકલ ખામી ગણી શકાય તેમ છે. ‘આ બાંધકામની જંત્રીની ગરબડને કારણે મોરબીની 2000 વીઘા જેટલી જમીન વણ વપરાયેલી પડી રહી છે. આ જગ્યા પર અનેક નાના-મોટા ઉદ્યોગો શરૂ થઈ શકે. આ અંગે અમારા પ્રમુખ સરકાર પાસે જઈ ચૂક્યા છે. તેમને સમગ્ર મુદ્દો સમજાવ્યો પણ છે. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.’ 'સિરામિક ઉદ્યોગની 200 ફેક્ટરી આ કારણે બંધ'અમે આ અંગે જ્યારે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બાપોલિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું બાંધકામની જંત્રી મુદ્દે અમે રાજ્યસરકારને અવારનવાર રજૂઆત કરી છે. હાલમાં સિરામિક ઉદ્યોગની 200 ફેક્ટરી આ કારણે બંધ થઈ રહ્યા છે. આ કારખાના પડ્યા પડ્યા ધૂળ ખાઈ રહ્યા છે.પ્રિમિયમ લોકેશનની 2000 વિઘા જેટલી જમીન નકામી થઈ રહી છે. ‘આ રીતે જો નવા 200 યુનિટ આ જ જગ્યા પર શરૂ થઈ શકે તો મોરબીને મોટો ફાયદો મળી શકે તેમ છે. આજુબાજુ વસતા લોકોને આ યુનિટમાં રોજગારી પણ મળી શકે.સરકારની આવકમાં પણ ભવિષ્યમાં વધારો થશે.’ સાથે જ તેઓ ચેતવે છે કે આજે આ બાંધકામની જંત્રી માત્ર 200 યુનિટને અસર કરે છે. પરંતુ આ યુનિટની કેપેસિટી આજથી 10 વર્ષ પહેલા બરાબર જ હતી પરંતુ સમય સાથે તે જૂની થઈ. એટલે આવનારા સમયમાં અત્યારના આધુનિક કારખાના આગામી પાંચ વર્ષમાં આઉટ ડેટેડ થઈ જશે. જેને કારણે જો બાંધકામની જંત્રીની સમસ્યા દૂર નહીં થાય તો ભવિષ્યમાં બીજા કારખાના માટે પણ આ નિયમ બાધા બનશે. આમ આ રીતે બાંધકામની જંત્રીને કારણે મોરબીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની પ્રિમિયમ ગણાતી 2000 વિઘા જમીન વપરાયા વગરની પડી રહી છે. આ 200 યુનિટની કિંમત પણ 1000 કરોડથી વધુ હશે. જો આ જંત્રીનુ નિરાકરણ આવે તો આ 1000 કરોડ રૂપિયાનો ઉપયોગ જે-તે માલિકો બીજા ધંધામાં કરી શકે તેમ છે. જેના કારણે અનેક રોજગારી સહિત સરકારને પણ ભવિષ્યમાં આવક ઉભી થઈ શકે. (સ્ટોરી ઇનપુટઃ હિમાંશુ ભટ્ટ)

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:00 am

મંદિર ટ્રસ્ટે 8000 કરોડની જમીન મફતમાં લીધી, 4 કરોડમાં વેચી:નિયમ વિરુદ્ધ સાબરમતીના પટમાં સરવે નંબર પાડ્યો, ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો, રિવરફ્રન્ટના કામ પર પ્રશ્નાર્થ

સાબરમતી નદીના કિનારે બનેલું રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહીં, આખા ગુજરાતની ઓળખ સમાન છે. હવે રિવરફ્રન્ટને છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાના તબક્કાવાર પ્રોજેક્ટ તરીકે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પણ આ પ્રોજેક્ટમાં એક મોટું કૌભાંડ થયું હોવાનું દિવ્ય ભાસ્કરને હાથ લાગેલા દસ્તાવેજોથી માલુમ પડે છે. મુદ્દો છે નદીની સરકારી માલિકીની જમીન પાણીના ભાવે કાગળ પર વેચીને કરોડો રૂપિયા છાપી લેવાનો. કદાચ એવું પણ બની શકે કે ગુજરાતના ઇતિહાસમાં આંકડાની રીતે આ સૌથી મોટું કૌભાંડ હોય. ખુલ્લેઆમ કરવામાં આવેલા આ કૌભાંડમાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા, વાંધોઓની અવગણના થઈ અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને કૌભાંડનું કલંક લગાવી દેવામાં આવ્યું. ગુજરાતમાં સેવા બજાવતા સિનિયર અધિકારીઓથી લઈને એક ટ્રસ્ટ તેમજ કંપનીએ મળીને કેવી રીતે આ આખું કૌભાંડ આચર્યું તેને દસ્તાવેજી પુરાવા સાથે સમજો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કોટેશ્વર ગામ છે. જ્યાં અત્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સરકારી દસ્તાવેજ મુજબ હાલમાં જ્યાં કામ ચાલી રહ્યું છે તે જમીન ખાનગી માલિકીની છે. વાસ્તવમાં આ જમીનની માલિક સરકાર જ હતી અને છે, જેના પર સરકારનો મેગા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. હદ તો એ છે કે તેરી ભૂ ચૂપ, મેરી ભી ચૂપનો ઘાટ ઘડાયો હોય એમ હવે સરકારી જમીન પોતાના નામ પર થઈ ગઈ હોવા છત્તા ખાનગી જમીન માલિકે આ મુદ્દે કોઈ વાંધો પણ ઉપાડ્યો નથી. કોટેશ્વર ગામમાં આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર મિની સોમનાથ તરીકે જાણીતું છે. મોદી સ્ટેડિયમ, રિવરફ્રન્ટ, મેટ્રો રેલ અને એરપોર્ટની નિકટતાને કારણે આ સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા રોડ-રસ્તા બની રહ્યા છે. આ વિસ્તારમાં ભવિષ્યમાં વધુ વિકાસ થવાની શક્યતા છે. મોટેરા સ્ટેડિયમ અને મેટ્રો પ્રોજેક્ટને કારણે કોમર્શિયલ પ્રવૃત્તિઓ વધી છે. 2020માં હાંસોલથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ શરૂ થયું હતું, પરંતુ 2021માં ભાટ-કોટેશ્વર નજીક આ કામ અટકાવી દઈને કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ઘડાયું હતું. ગ્રામજનોએ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે આ જમીન કોટેશ્વર ટ્રસ્ટને સોંપી દેવાઈ છે. પણ મુદ્દો તો આનાથી પણ વધારે પેચીદો બનતો ગયો. કારણ કે કોટેશ્વર ટ્રસ્ટ તો માત્ર જાણે કોઈક પ્યાદાની જેમ જ કામ કરતું હોય એમ જાણવા મળ્યું, તેની પાછળ સંપૂર્ણ દોરી સંચાર મોટા માથાનો હતો, જેની આ જમીન પર કાળી નજર હોય એમ લાગ્યું અને મજબૂત આયોજન રીતે જમીન પચાવવાનું કામ તબક્કાવાર થતું ગયું. ગામલોકોએ સરકારના અનેક વિભાગોમાં વિવિધ પુરાવાઓ સાથે રજૂઆતો કરી હતી. જેમાં જણાવાયુ છે કે, કોટેશ્વર ટ્રસ્ટને સાબરમતી નદીની કોટેશ્વર-ભાટ નજીક નદીના પટ અને કોતરની રિવરફ્રન્ટ માટેની 12,76,761 ચોરસ મીટર જમીનને મફતમાં પધરાવી દીધી છે. ગામલોકોએ સરકારમાં જે પુરાવાઓ આપ્યા છે તેમાં એક સત્તાવાર પત્ર પણ છે. જેમાં 2018માં કલેક્ટરની ખરીદી સમિતિએ તેની અંદાજિત બજાર કિંમત 8000 કરોડની આસપાસની નક્કી કરી હતી. જો કે ત્યાર પછી તો જમીનની બજાર કિંમતમાં સતત વધારો જ થઈ રહ્યો છે. ભાટ ગામની જમીનને પણ કોટેશ્વરની માપણીમાં દર્શાવી દીધી સરકારી તંત્ર દ્વારા કરાયેલી માપણી મુજબ કોટેશ્વરની જમીનની માપણી 3,81,011 ચોરસ મીટર હતી. જ્યારે 7/12ના ઉતારા મુજબ નવો સરવે નંબર 247 ઉભો કર્યો છે તેમાં જમીનનું ક્ષેત્રફળ 7,45,457 ચોરસ મીટર દર્શાવાયું હતું. પણ માપણી મુજબ 7/12ના ઉતારાનો મેળ પડતો ન હતો. આથી ભાટ ગામની 1,83,569 જમીનને પણ કોટેશ્વરની જમીનની માપણીમાં દર્શાવી દીધી છે. આમ કુલ ક્ષેત્રફળ 7,45,457 ચોરસ મીટર કરી દીધું છે. નદીની જગ્યામાં ખોટો નકશો દોરીને આ કૌભાંડ કરાયું છે. એટલે સ્પષ્ટ થાય છે કે સરકારી રેકર્ડમાં ચેડાં કરવામાં આવ્યા અને નદીની જમીન ટ્રસ્ટ પાસે આવી ગઈ. ત્યાર બાદ આ જમીન ખાનગી લોકોને પધરાવવા માટેનો અસલી ખેલ શરૂ થયો. જેના માટેનું પહેલું સ્ટેપ હતું કોઈપણ ભોગે જમીનને બિનખેતી એટલે કે NA કરાવવી. અગાઉ કલેક્ટરે નકારાત્મક અભિપ્રાય આપીને બિનખેતીની અરજીને કાઢી નાખી હતી બાદમાં બિનખેતી કરી અપાઈ1864ની ઈનામદારની સનદ મળી ત્યારથી આ સરકારી જમીનનો સાર્વજનિક ઉપયોગ થઈ રહ્યો છે. ઈનામદારે ઓગસ્ટ-2021માં બિનખેતી માટે અરજી કરી હતી. પણ કલેક્ટરે તેને કાઢી નાખી હતી. એટલું જ નહીં નકારાત્મક અભિપ્રાય પણ આપ્યો હતો. ત્યાર બાદ કોટેશ્વર ટ્રસ્ટે ફરીથી 17મી જૂન 2022એ બિનખેતી માટે અરજી કરી હતી. નક્કી થયેલી સ્ક્રીપ્ટ મુજબ, ઉપજાવી કાઢેલા સરવે નંબર 247ની જમીનને બિનખેતી કરવાનો હુકમ કલેક્ટરના આદેશ વિના જ સરકારી રેકર્ડ પર તેની નોંધ પણ પાડી દેવાઈ છે. આમ સત્તા બહારના બોગસ હુકમ કરીને આ જમીનને બિનખેતી કરી દેવામાં આવી. બિનખેતી માટે 1961ની અસરથી અપાઈ, ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટનાકોટેશ્વર ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આ જમીન બિનખેતી કરવા માટે અરજી કરી હતી. જેમાં ટ્રસ્ટે એવું કહ્યું હતું કે 1961માં જ ટ્રસ્ટ મંડળ દ્વારા ઠરાવ કરીને જમીન બિનખેતી કરાઈ હતી. તેના આધારે હવે બિનખેતી કરવાની માગણી કરાઈ હતી. ખરેખર તો આવું થઈ શકે જ નહીં. આમ છતાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ 7મી જુલાઈ, 2022ના રોજ ટ્રસ્ટની અરજીને માગ્ય ગણીને જૂની અસરથી એટલે કે 1961થી બિનખેતીની 1558 નંબરની નોંધ પાડી દીધી હતી. આમ, 60 કે તેનાથી વધુ વર્ષની જૂની અસરથી કોઈ જમીનને બિનખેતી કરી અપાઈ હોય એવી આ ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના છે. પ્રિમિયમે ન લેતા સરકારી તીજોરીને 700 કરોડોનો ફટકો8 હજાર કરોડની અંદાજિત કિંમતની જમીનને નિયમ વિરુદ્ધ જઈને બિનખેતી તો કરી આપવામાં આવી. એ ઉપરાંત પ્રિમિયમ લેવામાં પણ અધિકારીઓએ દિલદારી દાખવી. જો કોઈ સામાન્ય વ્યક્તિએ પણ જમીન બિનખેતી કરાવવી હોય તો નિયમો મુજબ નક્કી કરેલી પ્રિમિયમની રકમ સરકારમાં ભરવી પડે છે. પરંતુ સરકારી તંત્રને કોટેશ્વર ટ્રસ્ટ પર ન જાણે એવો તો કેવો પ્રેમ ઉભરાયો કે બિનખેતી માટે પ્રિમિયમની કરોડોની રકમ પણ લીધી નથી. જાણકારોના એક અંદાજ મુજબ જો પ્રિમિયમ લેવાયું હોત તો 700 કરોડ રૂપિયાની આવક સરકારને થઈ હોત. મહત્વની વાત એ છે કે સ્થાનિક લોકોએ અવારનવાર લેખિતમાં તમામ પુરાવાઓ આપીને તંત્રને જાણકારી અને ફરિયાદો આપી હતી. પરંતુ તમામ વાંધાઓને નજરઅંદાજ કરીને ખેલ પાડી દેવાયો છે. 8000 કરોડની જમીનનો માત્ર પોણા ચાર કરોડમાં સોદોસરકારે તો કોટેશ્વર ટ્રસ્ટને સાવ મફતમાં 8 હજાર કરોડ રૂપિયાની જમીન આપી દીધી. ત્યાર બાદ આ જમીન ટ્રસ્ટે વેચી મારી. કોટેશ્વર ટ્રસ્ટે આ જમીન અમદાવાદના સીજી રોડ પર આવેલી મનોરમ્યા રિસોર્ટ પ્રા.લિ.ને વેચી છે. જેનો દસ્તાવેજ પણ કરી દેવાયો છે. કોઈને પણ જાણીને આંચકો લાગે એવી વાત તો એ છે કે દસ્તાવેજમાં આ જમીન માત્ર પોણા ચાર કરોડ રૂપિયામાં વેચી હોવાનો ઉલ્લેખ છે અને તે મુજબની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી છે. સવાલ એ ઉભો થાય છે કે કોઈ આવી જમીન સાવ સસ્તા ભાવે વેચે કેમ? વાસ્તવમાં અંદરખાનેથી તો ટ્રસ્ટ અને જેને જમીન વેચાઈ છે એ રિસોર્ટના છેડા એકબીજા સાથે જોડાયેલા છે. આ કહેવાતી કંપનીનું કોઈ અધિકૃત સરનામું પણ બતાવ્યું નથી. વળી, જો 8 હજાર કરોડની કિંમતનો દસ્તાવેજ બનાવવામાં આવે તો કરોડોની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. તેમજ મોટો દસ્તાવેજ બને એટલે ફરીથી અન્ય અધિકારીઓની નજરમાં પણ આવી જાય. આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને જમીનનો ઓછો દસ્તાવેજ બનાવાયો હોય એમ હોઈ શકે. આમ, મોટા ઉદ્યોગપતિઓને ખુશ કરવાના હેતુથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ કરોડોનો ચૂનો લગાડાયો છે. લોકોનો આક્ષેપ હતો કે, આ જમીનને પધરાવવા માટે શક્તિશાળી ગણાતા પૂર્વ સનદી અધિકારીએ પૂરી તાકાત લગાવી હતી. તેઓએ મામલતદાર ઓફિસના કારકૂન સુધી ફોલોઅપ કર્યુ હતું. જમીનની તમામ પ્રક્રિયા વખતે ગામલોકોએ લેખિત-મૌખિકમાં વાંધા દર્શાવ્યા હોવા છતાં તેને ધ્યાનમાં લેવાયા નહોતા. એટલું જ નહીં, ગામલોકોએ આપેલા અનેક સરકારી પુરાવાઓને પણ નજરઅંદાજ કરાયા હતા. ભાજપના જ નેતાઓએ પત્ર લખ્યાભૂમાફિયાઓના પાપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરમતી રિવરફ્રન્ટનો ડ્રીમ પ્રોજેક્ટ લટકી પડ્યો હતો. બીજા તબક્કાનું કામ શરુ થયા બાદ પણ સાબરમતીના કાંઠે આવેલા મોટેરા, કોટેશ્વર અને ભાટ ગામની સીમમાં નદી કિનારાની કેટલીક જમીનનો કબજો સાબરમતી રિવરફ્રન્ટ ઓથોરિટીને સોંપાતો નહોતો. રિવરફ્રન્ટનું કામ ઝડપથી આગળ વધે એ માટે ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ મુખ્યમંત્રીની માંડીને વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી. આ રજૂઆત કરનારામાં ગાંધીનગર જિલ્લાના તત્કાલીન ભાજપ પ્રમુખ અનિલ પટેલ, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર ભાજપના પૂર્વ પ્રમુખ રુચિર ભટ્ટ, ગાંધીનગર મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર માણેકજી ઠાકોર, તેજલબેન નાયી, સેજલબેન પરમારનો સમાવેશ થાય છે. કેશવકુમાર વર્મા જેવા સિનિયર અધિકારીઓએ પણ અલગ-અલગ વિભાગોને પત્ર લખ્યા હતારિવરફ્રન્ટ કમિટીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ IAS અધિકારી કેશવકુમાર વર્માએ સરકારને પત્ર લખ્યો હતો. જેમાં એવી શંકા વ્યક્ત કરાઈ હતી કે નદીની સરકારી જમીન ગેરકાયદે રીતે હડપ થઈ શકે છે. તેમજ બીજા તબક્કાની રિવરફ્રન્ટની કામગીરી માટે જમીનનો કબજો સોંપી દો એવી માગણી કરાઈ હતી. આમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. અમદાવાદ મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનર લોચન શહેરા સહિતના કમિશનરોએ પણ સાબરમતી રિવરફ્રન્ટની જમીનનો કબજો સોંપવા માટે ગાંધીનગરના કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ પણ રિવરફ્રન્ટની આ જમીન સોંપવા માટે પત્રો લખાયા હતા પણ તંત્રએ સરકારી અધિકારીઓની માગણીઓને પણ સાઈડલાઈન કરી દીધી હતી. બીજી બાજુ નદીની આ બિનનંબરી અને સરકારી જમીનને મામલતદાર કક્ષાએ સત્તા નહીં હોવા છતાં નવો રિ-સરવે નંબર આપીને ખાનગી જમીન બનાવી દીધી છે. જમીન નદી-કોતરની હોવાથી સરકાર આ જમીન કોઈને આપી શકે નહીંકોઈપણ નદી-નાળા કે કોતરની જમીન સરકારી માલિકીની કહેવાય. આવી જમીનને સરકાર પણ જાહેરહીત સિવાયના કિસ્સામાં કોઈ અન્ય ખાનગી કંપની-ટ્રસ્ટ કે વ્યક્તિને આપી શકતી નથી. ગામલોકોએ રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, જમીનોની આ ફાઈલ મહેસુલ સચિવ, મુખ્ય સચિવ કે મુખ્યમંત્રી સુધી જવી જોઈતી હતી. પરંતુ આવું કશું થયું નથી. આ કિસ્સામાં સરકારે કોઈ લેખિત આદેશ આપ્યો નહીં હોવા છતાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડના (DILR) ઉચ્ચ અધિકારીઓએ 8 હજાર કરોડની કિંમતની આ જમીનનો ખેલ પાડ્યો છે. રિવરફ્રન્ટની આપી દેવાયેલી આ જમીનનું હાલનું સ્ટેટસ શું છે? રિવરફ્રન્ટની કામગીરી આગળ ધપાવવાનો આદેશ થયા બાદ ભાટ-કોટેશ્વરની જમીનનો કબજો લીધા વગર જ કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેનો અર્થ એવો થયો કે, હાલમાં રિવરફ્રન્ટનું કોટેશ્વર ખાતે જે કામ ચાલી રહ્યું છે તે પૈકીની કેટલીક જમીનની સત્તાવાર માલિકી ખાનગી કંપનીની છે. મનોરમાં રિસોર્ટ હવે પોતાની માલિકીની કહેવાતી જમીન માટે કોર્ટમાં જશે તો શું થશે? કંપનીએ જે જમીનનો દસ્તાવેજ પણ કર્યો છે તે જમીનનો કબજો તેને મળી શકે તેમ નથી. સ્થિતિમાં કંપની કોર્ટનો આશરો લઈ શકે છે. આખરે સમાધાનના ભાગરુપે સરકાર પણ કંપનીને રિવરફ્રન્ટની નદીની જમીનના બદલામાં અન્ય કોઈ જગ્યાએ જમીન આપી શકે છે. જો જમીન ન આપે તો પછી સરકાર કંપનીની જમીન લેવા બદલ કરોડો રૂપિયાનું વળતર પણ ચૂકવી શકે છે. દિવ્ય ભાસ્કરે જ્યારે કોટેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો પક્ષ જાણવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. ભૂતકાળમાં પણ જ્યારે તેમને અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે જવાબ આપવાનું ટાળ્યું હતું. ટૂંકમાં તેઓ આ મામલાને દબાવવા માગતા હોય એમ લાગી રહ્યું છે. આ જ રીતે મનોરમ્યા રિસોર્ટના પ્રતિનિધિનો પણ સંપર્ક થઈ શક્યો નથી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 6:00 am

ટ્રેન વ્યવહાર થંભી ગયો:પાલનપુર-સામખિયાળી વચ્ચે માલગાડી પાટા પરથી ઊતરી ગઈ

અમદાવાદ ડિવિઝનના પાલનપુર–સામખિયાળી સેક્શનમાં કીડિયાનગર પાસે રવિવારે વહેલી સવારે 2.25 વાગે માલગાડીના બે વેગન પાટા પરથી ઊતરી જતા અપ-ડાઉન એમ બંને લાઇનના રેલરૂટને અસર પહોંચી હતી. જેમાં ડાઉન લાઇનમાં જતી માલગાડીના બે વેગન ડીરેલ થતાં બંને દિશાનું ટ્રેન સંચાલન અટકાવ્યું હતું.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા રેલવે તંત્રએ પાટા પરથી ઊતરેલા વેગનને હટાવી ટ્રેકની તપાસ કરી જરૂરી સુધારા પૂર્ણ કર્યા બાદ સવારે 8.05 વાગે બંને લાઇનનો રેલ વ્યવહાર પુનઃ શરૂ થયો હતો. આ ઘટનાથી સવારે દોડતી ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રદ, બાંદ્રા ટર્મિ–ભુજ એક્સપ્રેસ તથા દિલ્હી સરાય રોહિલ્લા–ભુજને ડાઇવર્ટ જ્યારે ટ્રેન ભગત કી કોઠી–ગાંધીધામને ભિલડી સ્ટેશન પર અટકાવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:55 am

પાટીલ ગબડી ના પડે એટલે પટ્ટીઓ મારી દેવાઈ:સુરતના મેયરને 'વૈજ્ઞાનિક' બોલવામાં ફાંફા પડી ગયા; લો બોલો, કોંગ્રેસના કાર્યકરો નેતાનું પોસ્ટર છોડીને ચાલ્યા ગયા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:55 am

ટેલિમાનસ હેલ્પલાઇને હારેલા હિંમત આપી:7 વાગ્યે જીવન ટૂંકાવવું છે, રસ્તો બતાવો, ટેલી-માનસે બચાવ્યા

‘મારે 7 વાગ્યે મરવું છે, બસ એ કહો કે દવા ગળવાથી વહેલા મરાય કે પંખે લટકવાથી?’ આ અમદાવાદના ટેલી-માનસ સેન્ટરમાં કોલ આવ્યો હતો. 30 મિનિટની વાર હતી, અને બીજી તરફ એક જિંદગી કાયમ માટે બુઝાઈ જવાની તૈયારીમાં હતી. 14416 હેલ્પલાઇનના કાઉન્સિલરોએ આત્મહત્યા કરતા અટકાવ્યા હતા. 2025-26માં હેલ્પલાઈન પર 25,754 કોલ આવ્યા છે. કેસ -1જજનાં પત્ની: સામાજિક પ્રતિષ્ઠા, જિંદગી વચ્ચેની જંગએક હાઈ-પ્રોફાઈલ કિસ્સામાં જજના પત્નીએ કોલ કર્યો. પતિ દારૂની લત ધરાવતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. બહારની દુનિયા માટે તેઓ એક 'પાવરફૂલ કપલ' હતા, પણ ઘરની અંદર પત્ની રોજ મરતી હતી. સામાજિક પ્રતિષ્ઠાને કારણે તે પોલીસ પાસે જઈ શકતી નહોતી. હેલ્પલાઇને તેમને ગોપનીય રીતે કાઉન્સિલિંગ આપ્યું અને આજે તેઓ એક મજબૂત મનોબળ સાથે જીવી રહ્યા છે. કેસ -2ગૂગલ પર સુસાઈડ સર્ચ કર્યું, સામે જિંદગીનો પોપ-અપ આવ્યો!ધોરણ-11માં ભણતી કિશોરીને ક્લાસમેટ સાથે પ્રેમ થયો. ઘરે ખબર પડતા જ ફોન છીનવાઈ ગયો, વાતચીત બંધ થઈ. કિશોરી ડિપ્રેશનમાં આવી જતા તેણે રૂમમાં પૂરાઈને ગૂગલ પર સર્ચ કર્યું- ‘How to commit suicide’. સદનસીબે ગૂગલના અલ્ગોરિધમ મુજબ ટેલી-માનસનો મેસેજ પોપ-અપ થયો. તેણે કોલ કર્યો અને કાઉન્સિલરે તેને સમજાવ્યું કે- “જિંદગી એક પરીક્ષા જેવી છે, જેમાં ફેલ થયા પછી બીજી તક મળે છે, પણ મોત પછી કોઈ તક નથી હોતી.” આજે તે ફરી ભણી રહી છે. અમદાવાદના સેન્ટરમાં ત્રણ વર્ષમાં 35,909 કોલ આવ્યા2022માં કેન્દ્ર સરકારે આપઘાતના ઘટાડવા અને ત્વરિત મદદ માટે ટેલિમાનસ હેલ્પલાઇન શરૂ કરી હતી. જેનું રાજ્ય સ્તરનું સેન્ટર અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં છે. જ્યાં ત્રણ વર્ષમાં 35,909 કોલ આવ્યા હતા. જેમાં આપઘાત જ નહીં પરંતુ ડિપ્રેશન, સ્ટ્રેસ, ફોબિયા, સ્લીપ ડિસ્ટર્બ, વ્યસન મુક્તિ અને મહિલા અત્યાચારમાં હિંમત હારેલાના કોલ આવે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:53 am

5.23 કરોડના અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ કરાશે:ચંડોળામાં 51,683 ચો.મી. જગ્યામાં એસટી બસનો હાઈટેક વર્કશોપ બનશે

એસટી નિગમ દ્વારા અમદાવાદ ડિવિઝનની બસોના મેન્ટેનન્સ, સંચાલન માટે ચંડોળા ખાતે 5.23 કરોડના ખર્ચે અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ કરાશે. 51,683 ચોમીના કેમ્પસમાં માત્ર સર્વિસ સેન્ટર નહીં, પણ આધુનિક ટેકનોલોજી હબ બનશે. અહીં રોજની 100-125 બસનું મેન્ટેનન્સ, સફાઈ તેમજ ડીઝલ ફ્યુઅલિંગ કામગીરી થશે. વર્કશોપની મુખ્ય વિશેષતા લોકોને થનારા ફાયદા

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:51 am

વન નેશન વન રેશન યોજનાના ભંગ સામે હાઈકોર્ટમાં અરજી:35 કિલો રેશનનો નિયમ છતાં રાજ્ય બહારના લોકોને માત્ર 8 કિલો મળે છે

ગુજરાતમાં બહારનાં રાજ્યો જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયા હોય તો તેવા લોકોને સસ્તા અનાજના દર મહિને 35ને બદલે 8 કિલો જથ્થો મળતાં હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસીઓ છે પરતું છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયા છે. તેમનું રેશન કાર્ડ ઉત્તરપ્રદેશનું છે. ‘વન નેશન વન રેશન’ યોજના હેઠળ તેમને દર મહિને 35 કિલો રેશન મળવાપાત્ર છે પરંતુ નારોલની સસ્તા અનાજના દુકાનદારો તેમને મહિને માત્ર 8 કિલો રેશન આપે છે જેમાં 5 કિલો તો માત્ર ઘઉં આપે છે. દાળ, ચોખા, ખાંડ 1 કિલો જેટલા મળે છે, જે ગેરકાયદે છે. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પુરવઠા વિભાગને નોટિસ પાઠવી છે. અન્ય રાજ્યોના નાગરિકોનું રેશનકાર્ડ AAY માન્ય હોય અને ONORC સાથે જોડાયેલું હોય તો તેઓ NFSA હેઠળ હક્ક પ્રમાણે અનાજ મેળવી શકે છે. તેમ છતાં દુકાનદારો મનસ્વી વર્તન કરી રહ્યા છે. તેમની પાસે આધાર કાર્ડ હોય તો તેના આધારે દર મહિને 35 કિલો અનાજ મેળવવા પાત્ર છે. માણસોના ભોજનના અધિકાર પર તરાપ મારી ન શકાય તેવી હાઈકોર્ટે ટકોર કરી હતી. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી ગુજરાત બહારના નાગરિકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમાં એવી રજૂઆત કરાઈ છે કે ‘વન નેશન વન રેશન’ની સરકારની યોજના સમગ્ર દેશમાં અમલી છે પરંતુ અમદાવાદમાં તેનો અમલ થતો નથી. અંત્યોદય કાર્ડ ધરાવનારને દર મહિને 35 કિલો રેશન જેમાં લોટ, દાળ, ચોખા, ખાંડ વગેરે આપવામાં આવે છે પરંતુ સસ્તા અનાજના દુકાનધારકો તેમને દર મહિને માત્ર 8 કિલો જ અનાજ આપે છે. તેમના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સરકારે આપેલા રેશનકાર્ડનો કોઈ મતલબ રહેતો નથી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:50 am

સફળ સર્જરી:કપ્સુ લેસરની સર્જરીથી 30 વર્ષ બાદ 100 ટકા દૃષ્ટિ પાછી મળી

ડાયાબિટિસ, ઝામર સહિત આંખના હેમરેજને કારણે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અમદાવાદ રૂરલના લોયર પીયૂષભાઈ મસરની 30 વર્ષથી ડાબી આંખની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા હતા. શહેરની એક હોસ્પિટલમાં ડોકટરે વિટ્રીઓ હેમરેજથી દર્દીની અત્યાધુનિક કેપ્સુ લેસરથી મોતિયાની સર્જરી કરતાં 100 ટકા દૃષ્ટિ પાછી મેળવી છે. મહત્વની વાત છે કે, હેમરેજથી જમણી આંખની દૃષ્ટિ પણ ધૂંધળી થઇ હતી, પણ દર્દી દૃષ્ટિ જવાના ડરે જમણી આંખની સારવાર-સર્જરી કરાવવાનું ટાળ્યું હતું, પણ જમણી આંખે દેખાવાનું એકદમ ઓછું થતાં સર્જરી કરાવી છે. પાર્થ આઇ હોસ્પિટલના આંખના સર્જન ડો. જગદીશ રાણા જણાવે છે કે, દર્દીની ડાબી આંખમાં હાયપર મેચ્યોર મોતિયો (ફૂલી ગયેલો મોતિયો) કાઢવામાં ફાટી જતાં દર્દીની દૃષ્ટિ પાછી ન આવવાનું જોખમ રહે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:48 am

સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરાયું:યુપીએસસી માટે 25 મોક ટેસ્ટ આપવાની તક, સ્પીપા સાથે ન જોડાનારા પણ ભાગ લઈ શકશે

સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન દ્વારા યુપીએસસી પ્રીલિમનરી એક્ઝામ-2026ના માટે જાન્યુઆરીના ત્રીજા વિકથી સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરાયું છે. આશરે 25 જેટલી મોક ટેસ્ટ અને પ્રત્યેક 200 માર્ક્સની હશે. મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે સ્પીપા તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવ્યો હોય તેવા ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો 16મી જાન્યુ. પ્રારંભ થયો છે. જે ઉમેદવારોએ સ્પીપાના તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી તેવા ઉમેદવારોને માટે રૂ. 1 હજાર રજિસ્ટ્રેશન ફી ભરીને નિર્ધારિત 6 સેન્ટરોમાં ઓફલાઈન ટેસ્ટ યોજાશે. મહત્ત્વપૂર્ણ સૂચનાઓ મોક ટેસ્ટ આપવાથી ઉમેદવારોના પર્ફોર્મન્સમાં સુધારો થયો‘સ્પીપા દ્વારા છેલ્લાં કેટલાક વર્ષોથી યુપીએસસી સિવિલ સર્વિસિસની પ્રીલિમનરી એક્ઝામની તૈયારી કરી રહેલા ઉમેદવારોને માટે મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવે છે. સ્પીપા દ્વારા દર વર્ષે યોજાતી આ મોક ટેસ્ટ સિરીઝ ઉમેદવારોની પરીક્ષા પહેલાની પ્રેક્ટિસ સાથે સાથે રિવિઝન અને અઘરા પ્રશ્નોની ટેસ્ટના માધ્યમથી સમજણ કેળવવાનો પ્રયત્ન હોય છે. મોક ટેસ્ટના કારણે ગુજરાતના ઉમેદવારોના પર્ફોર્મન્સમાં સુધારો થયો છે.’ - હર્ષ પટેલ, જીપીએસસી-યુપીએસસી એકઝામ કોચિંગ એકસપર્ટ અરજી, પરીક્ષા કેન્દ્રની વિગતો

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:46 am

સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની ભરતી:ડાયટિશિયનની 16 જગ્યા માટે 26મી સુધી અરજી કરી શકાશે

ગુજરાત સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મેડિકલ એજ્યુકેશન શાખા હેઠળ ડાયટિશિયન, વર્ગ-3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 16 જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો ઓજસ મારફતે 26 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ, ક્લિનિકલ ન્યુટ્રિશન અથવા સંબંધિત વિષયમાં એમ.એસસી ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારને કમ્પ્યુટરનું આધારભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારની વય મર્યાદા 18થી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જેમાં નિયમ મુજબ વિવિધ વર્ગને વયમાં છૂટછાટ મળશે. પસંદ થયેલા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 40,800 ચૂકવાશે અને ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ-6 મુજબ પગાર આપવામાં આવશે. પરીક્ષા માટે સામાન્ય વર્ગના ઉમેદવારને રૂ.500 અને અનામત વર્ગના ઉમેદવારને રૂ.400 ફી ભરવાની રહેશે, જે પરીક્ષા આપ્યા બાદ પરત મળશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:43 am

આજથી માઘ નવરાત્રી:સવારે 11.53થી સિદ્ધિ-કુમાર યોગ

સોમવારથી માઘ નવરાત્રી સાથે મહા મહિનાનો પ્રારંભ થશે. જોકે સવારે 07.29 વાગ્યાથી જ બીજા દિવસ સુધી મૃત્યુયોગ શરૂ થાય છે. અશુભ યોગ વચ્ચે સવારે 11.53 વાગ્યાથી સિદ્ધિયોગ અને કુમાર યોગ પણ શરૂ થાય છે. આથી 11.53 પછીથી ઘટસ્થાપન કરી શકાશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે નવરાત્રીમાં માતાજીના મંદિરે દર્શન કરવા માત્રથી ભવિષ્યમાં આફતમાંથી ઊગરી શકાય છે. આર્થિક સમસ્યામાં ઘેરાયેલા લોકોને મહાલક્ષ્મી માતાના પૂજન, અર્ચન તેમજ સ્તોત્રના પઠનથી આર્થિક લાભ થઈ શકે છે. 26મીએ ખોડિયાર માતાની જયંતિ ઉજવાશે અને 27મીએ નવરાત્રિ પૂર્ણ થશે. માઘ નવરાત્રીમાં દેવી ઉપાસનાથી સિદ્ધિ અને આત્મસાક્ષાત્કાર થાયઆ ગુપ્ત નવરાત્રીમાં દુર્ગા સપ્તશતી (ચંડીપાઠ)ના કવચ, કીલક, અર્ગલા સ્તોત્રના પાઠ કરવા સાથે પુરશ્ચરણ, અનિષ્ટ નિવારણ સાધના, શત્રુ નિવારણ સાધના કરવાથી ઉચિત ફળપ્રાપ્તિ થાય છે. માઘ નવરાત્રીમાં રાત્રિના 12થી 3 વાગ્યા સુધી ‘ॐ હ્રીં કાલીકાયૈ નમ:’, ‘ॐ હ્રીં બગલામુખ્યૈ નમ:’ મંત્રના 1,25,000 અથવા 1,00,008 જાપ કરવાનું શાસ્ત્રોમાં શ્રેષ્ઠ કહેવાયું છે. ગુપ્ત નવરાત્રીમાં પૂજાનો શ્રેષ્ઠ સમય મધ્યરાત્રિનો ગણાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:42 am

નરોડા ગામના યુવાનોનું અનોખું અભિયાન:360 કિલો દોરી સામે 1400 કિલો ખાંડનું વિતરણ કરાયું

ઉત્તરાયણ પછી લટકતી દોરીઓ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે. આવી દોરીઓ પક્ષીઓને ઈજા ન પહોંચાડે તે માટે નરોડા ગામના યુવાનોએ ‘રાંદલ માતા સમિતિ’ના નેજા હેઠળ ‘દોરી આપો, ખાંડ લઈ જાઓ’ પહેલ કરી હતી. સ્વભંડોળથી યોજેલા કેમ્પમાં 2 દિવસમાં નરોડા વિસ્તારની સાથે કુબેરનગર, સરદારનગર, સરસપુર, કૃષ્ણનગર, સૈજપુર બોઘા સહિતના વિસ્તારમાંથી લોકોએ 360 કિલો દોરી જમા કરાવી હતી, તેમાંથી 50 ટકા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નીકળી હતી. સામે યુવાનોએ 1400 કિલો ખાંડનું વિતરણ કર્યું હતું. આ દોરીનું દહન કરાયું હતું. હવે સમિતિએ દર વર્ષે આ રીતે પક્ષીઓના રક્ષણ માટે કેમ્પ કરવાનું નક્કી કર્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:42 am

વીજ બચત:સૌરઊર્જાથી 114 ધર્મસ્થાનને 67 લાખની વીજબચત

અમદાવાદને રિન્યુએબલ એનર્જીમાં પણ ટોચનું સ્થાન મળે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનાં ધાર્મિક સ્થળોને પણ સોલર પેનલ લગાવી આપવા માટે બજેટ ફાળવ્યું છે. આ પ્રકારે બજેટ ફાળવનારું અમદાવાદ ગુજરાતનું પ્રથમ શહેર છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 114 જેટલાં ધાર્મિક સ્થળે સોલર પેનલ લગાવી છે અને તે પેટે રૂ. 3.9 કરોડનો ખર્ચ થયો છે. આ સામે આ ધાર્મિક સ્થળોને 67 લાખની વાર્ષિક વીજ બચત થશે. સોલર પેનલથી વિવિધ ધાર્મિક સ્થળે 1071.40 કિલોવોટ જેટલી ઊર્જાનું ઉત્સર્જન કરશે. વ્યક્તિગત માલિકીની જગ્યા ધરાવતાં હોય, ટ્રસ્ટની નોંધણી થઈ હોય અને 3 વર્ષના વાર્ષિક હિસાબોનું ઑડિટ થયું હોય તેવાં તમામ ધાર્મિક સ્થળોને મનપાએ પોતાના બજેટમાંથી સોલર પેનલ લગાવી આપવાનો નિર્ણય કર્યો હતો. 9થી 10 મહિનામાં જ આ કામગારી થઈ છે. નોંધનીય છે કે તમામ ધર્મનાં ધાર્મિક સ્થળોએ આ યોજનાનો લાભ લીધો . જેમાં 81 જેટલાં મંદિર, 17 દેરાસર, 3 આશ્રમ, 5 મસ્જિદ અને 1 સંસ્થાનો પણ સમાવેશ થાય છે જ્યારે 7થી વધારે સ્થળે હજુ કામ ચાલી રહ્યું છે. મ્યુનિ.ને 255 જેટલાં ધાર્મિક સ્થળે સોલર પેનલ લગાવી આપવા માટે અરજી કરી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અરજી

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:41 am

સંત મૂળદાસ બાપુની સંવેદનશીલ પહેલ:640 વિધવા માતાઓના સંતાનોએ ચરણ પખાળી માન વધાર્યું

સમાજમાં આજે ય અનેક જગ્યાએ વિધવાઓને શુભ પ્રસંગોથી દૂર રખાય છે કે અપશુકનિયાળ માની ખૂણે બેસાડી દેવાય છે, ત્યારે રામમઢી ધામના સંત મૂળદાસ બાપુએ સંવેદનશીલ પહેલથી માનવતાની નવજ્યોત પ્રગટાવી છે. ‘જે લોકો પોતાની જીવિત માતાની પૂજા નથી કરી શકતા, તેઓ વિધવાનું સન્માન ક્યાંથી કરશે?’ - આ કરુણ વાસ્તવિકતા બદલવા બાપુએ સવા લાખ વૈધવ્ય પૂજનનો સંકલ્પ કર્યો છે. તાજેતરમાં અમદાવાદના નિકોલમાં 640 વિધવા માતાઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું. આ દ્રશ્ય અતિ ભાવુક હતું જ્યારે નાની વયની વહુ-દીકરીઓએ એ માતાઓના ચરણ પખાળી, કંકુ-તિલક કરી તેમની આરતી ઉતારી. બાપુ કહે છે, ‘વૈધવ્યના કારણે .અનેક માતા નિરાશ હોય છે. ઘરનાં જ સંતાન કે વહુ સાથે વાર્તાલાપ ખૂટી જાય છે. આ પૂજનથી અમે તેમને અહેસાસ કરાવવા માગીએ છીએ કે તેઓ સમાજનું અભિન્ન અને પવિત્ર અંગ છે.’ આ અભિયાન માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પણ સ્ત્રીશક્તિ અને માતૃત્વનું ખોવાયેલું ગૌરવ પરત અપાવવાનો ભગીરથ પ્રયાસ છે. આ રીતે અમને સમાજમાં યોગ્ય સન્માન મળશેઅમને અત્યાર સુધી શુભ પ્રસંગોમાં અપશુકન માનવામાં આવતાં હતાં, આજે જ્યારે અમારા ચરણ ધોઈ પૂજા થઈ, ત્યારે લાગ્યું કે ખરેખર સમાજમાં અમારું સ્થાન બદલાયું છે. હવે અમને ય યોગ્ય સન્માન મળી રહ્યું છે. > વિધવા માતા ચંચળબેન સેવાનો અવિરત પ્રવાહ સંત મૂળદાસ બાપુની આ પહેલની સાથે અગાઉ કોરોનાકાળમાં લોકોનો ભય દૂર કરવા ઔષધિ સાથે સવા લાખ શ્રીફળનો હોમ કર્યો હતો. તેની સાથે સમાજમાં દીકરીઓ પ્રત્યે વિશ્વાસ વધે અને દિકરી અવળા રસ્તે ન જાય તે માટે સવા લાખ દીકરીઓનું પૂજન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:પહેલી વાર ખાનગી કંપની બનાવશે સંપૂર્ણ સેટેલાઇટ ડિઝાઇનથી માંડીને નિર્માણ એક જ છતની નીચે થશે

અત્યાર સુધી ગુજરાતનું નામ કાપડ, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકનોલોજી સાથે જોડાતું, પરંતુ હવે ગુજરાત સ્પેસ ટેકનોલોજીમાં પણ ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. અઝિસ્તા સ્પેસ લિમિટેડ ગુજરાતમાં દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીએ ગુજરાત સરકાર સાથે 500 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ અત્યાધુનિક પ્લાન્ટનું ખાતમૂહુર્ત 22 જાન્યુઆરીએ સાણંદના ખોરજ ગામમાં થશે. ભારતમાં સામાન્ય રીતે ઈસરો સિવાય ક્યાંય ઉપગ્રહ બનતા નથી. અઝિસ્તા સ્પેસ લિમિડેટે પ્રાયોગિક ધોરણે ઉપગ્રહ બનાવાનું શરૂ કરી દીધું છે. અઝિસ્તા સ્પેસે ગુજરાતમાં જ ઉપગ્રહની ડિઝાઈનથી માંડીને ફાઈનલ પ્રોડક્શન સુધીની કામગીરી માટે MoU કર્યા છે. 48 હજાર ચોરસ મીટરમાં બની રહેલા પ્લાન્ટમાં ઉપગ્રહની તમામ કામગીરી એક જ છત નીચે થશે. ઉપગ્રહના પાર્ટ્સ બનાવતી કંપનીઓ તો દેશમાં ઘણીય છે, પરંતુ આખો જ ઉપગ્રહ તૈયાર થતો હોય એવી સુવિધા હવે ઉભી થશે. ઉપગ્રહમાં સંખ્યાબંધ સામગ્રી વપરાતી હોય છે, તેમાંથી 50 ટકાથી વધારે સામગ્રી ભારતમાં જ બનેલી હશે. અઝિસ્તાએ ‘ઈલેક્ટ્રો ઓપ્ટિકલ પેલોડ’ બનાવવામાં મહારત હાંસલ કરી છે. અઝિસ્તાએ બનાવેલા સેટેલાઇટ ઓપરેશન સિંદૂરમાં કામ આવેલાઆ કોઇ સ્પેરપાર્ટ બનાવવાની ફેક્ટરી નહીં હોય. ડિઝાઇન, એન્જિનિયરિંગ, એસેમ્બલી, પરીક્ષણથી લઈને ફાઇનલ સેટેલાઇટ તૈયાર કરવાની પૂરી પ્રક્રિયા થશે. અઝિસ્તાએ 2023માં તેનો પહેલો સેટેલાઇટ તૈયાર કર્યો હતો. ત્યારે કંપનીએ એલોન મસ્કના ફાલ્કન-9 રોકેટ પરથી લોન્ચ કર્યો હતો. અઝિસ્તાએ ઓપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કંપનીના હાઇ-ટેક કેમેરાનો ઉપયોગ સેટેલાઇટ, ડ્રોન અને સર્વેલન્સમાં થાય છે. ઓપરેશન સિંદૂર વખતે અઝિસ્તાના સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરો સુરક્ષા એજન્સીઓ માટે ઘણી કામ આવી હતી. ક્યા ક્યા વિષયના નિષ્ણાતો જોઈશે?અવકાશ વિજ્ઞાન એ આખા જગતમાં સતત વિકસી રહેલો ઉદ્યોગ બની રહ્યો છે. હવે ખાનગી કંપનીઓ પણ પોતાના ઉપગ્રહ રાખતી થઈ છે. એટલે અઝિસ્તા અને તેના જેવી કંપનીઓને કારણે નીચે મુજબના નિષ્ણાતોની જરૂર પડશે. એ ઉપરાંત પણ સ્પેસ ઉદ્યોગ વિકસશે એટલે મોટી સંખ્યામાં રોજગારી સર્જાશે. ડૉ. વિક્રમ સારાભાઈના અમદાવાદમાં હવે સેટેલાઈટનું નિર્માણ થશેઈસરોનું મુખ્યાલય તો બેંગ્લુરુમાં છે અને ઘણા મથકો પણ દક્ષિણ ભારતમાં છે. પરંતુ ઈસરોના ઉપગ્રહ નિર્માણ સહિતની મહત્ત્વની કામગીરી અમદાવાદ સ્થિત ‘સ્પેસ એપ્લિકેશન સેન્ટર’માં થાય છે. તો બાહ્યાવકાશ સંશોધન માટે અમદાવાદની ‘ફિઝિકલ રિસર્સ લેબોરેટરી’નું મોટું નામ છે. મહત્ત્વની વાત એ પણ છે કે ભારતમાં આઝાદી પછી અવકાશ વિજ્ઞાન કાર્યક્રમ શરૂ કરનારા અગ્રણીઓમાંના એક વિક્રમ સારાભાઈ હતા. અમદાવાદમાં જ જ્યાં જગ્યા મળી ત્યાં તેમણે અવકાશ સંશોધનની શરૂઆત કરી હતી અને બાદમાં 1969માં ઈસરોની સ્થાપના થઈ હતી. અવકાશ સંશોધનમાં અમદાવાદનો મહત્ત્વપૂર્ણ ફાળો હોવા છતાં તેને જોઈએ એટલું મહત્ત્વ નથી મળ્યું, હવે ઉપગ્રહ મેન્યુફેક્ચરિંગથી મળશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:30 am

મંડે પોઝિટીવ:સરકારી શાળાના શિક્ષકે 5 હજાર વિદ્યાર્થીને સુલેખનની તાલિમ આપી, આ સાથે શાળાનું પરિણામ પણ 10 ટકા વધ્યું

સામાન્ય રીતે સોમવારની સવાર બાળકો માટે કંટાળાજનક હોય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિઠોડા ગામની પીએમશ્રી અનુપમ પ્રાથમિક શાળામાં દ્રશ્ય કંઈક અલગ જ છે. અહીંના શિક્ષક આદિત્ય દરજીએ એ સાબિત કરી દીધું છે કે જો અક્ષર સુધરે તો બાળકનું સમગ્ર વ્યક્તિત્વ અને પરિણામ પણ સુધરી શકે છે. શિક્ષક આદિત્ય દરજીએ જોયું કે, ગરબડીયા અને અસ્પષ્ટ અક્ષરોને કારણે બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ અને તેમના પરીક્ષાના પરિણામ ઉપર પણ અસર પડે છે. આથી તેમણે 2010માં અક્ષર સુધારણા અભિયાન શરૂ કર્યું. જે અંતર્ગત ધોરણ 3 થી 8ના અંદાજે 300 વિદ્યાર્થીઓને અક્ષરની રચના, સ્વર-વ્યંજનની સમજ અને મરોડદાર લેખન શીખવવામાં આવ્યું. દરરોજ અભ્યાસ પૂર્વે નાનકડી પ્રેક્ટિસ અને શ્રેષ્ઠ લખાણ કરનારનું જાહેરમાં સન્માન કરવા જેવા પ્રોત્સાહક પગલાંથી બાળકોમાં ઉત્સાહ વધ્યો. આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા એ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શાળાનું પરિણામ 74%થી વધીને 83% થઈ ગયું છે. માત્ર 20 દિવસની મહેનત બાદ બાળકોના લખાણની સાથે આત્મવિશ્વાસ, શિસ્ત અને ધીરજ પણ વધી છે. પરિણામે, રાજવી પટેલ અને તનિષ્ક પંચાલ જેવા અનેક બાળકોએ ખાનગી શાળાઓ છોડીને આ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અક્ષર સુધારવાના 5-સ્ટેપ1. કેલિગ્રાફી: બાલવાટિકાના બાળકોને વિવિધ આકારોની પ્રેક્ટિસ કરાવવી.2. લેખન: પાઠ્ય પુસ્તકમાંથી એક ફકરાનું લેખન કરાવવું.3. ભૂલ શોધવી: લખાણમાં મૂળાક્ષરના વળાંક અને અન્ય ક્ષતિઓ તપાસવી.4. બંધારણ: ડબલ લીટીની નોટમાં 10-12 દિવસ સ્વર-વ્યંજનની પ્રેક્ટિસ કરાવવી.5. સદંડી મૂળાક્ષર: વિશિષ્ટ મૂળાક્ષરોની ભૂલો સુધારી સરખું લખવાની પ્રેક્ટિસ કરાવવી. તેમના આ પ્રયોગથી માત્ર 20 દિવસમાં અક્ષરમાં સુધારો જોવા મળ્યોવિદ્યાર્થીઓના ખરાબ અક્ષરોના કારણે તેના પરિણામ પર પડતી અસર જોઈને 2010માં અક્ષર સુધારણા અભિયાન શરૂ કર્યું. જેમાં બાળક કયો અક્ષર લખવામાં કંઈ ભૂલ કરે છે તે શોધીને તે સુધારવા સતત પ્રેક્ટિસ કરાવો. માત્ર 20 દિવસમાં સારા અક્ષરો લખતો થઈ જશે. આ કામ પહેલા ધોરણથી જ થાય તો ખૂબ સારું પરિણામ મળે છે. અત્યાર સુધીમાં રાજ્યના 5000થી વધુ બાળકોને મરોડદાર અક્ષરો શીખવ્યા છે. - આદિત્ય દરજી, શિક્ષક

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:23 am

શિંદેની મુખ્ય માંગ : પહેલાં અઢી વર્ષ અમારો મેયર જોઈએ

કમિટીઓમાં ૨:૧ના રેશિયોથી નિયુક્તિનો આગ્રહ સ્ટેન્ડિંગ કમિટીનું અધ્યક્ષ પદ પણ માગ્યું , ભાજપને સાફ કહ્યું, અમારા વિના તમારા મેયર શક્ય નથી મુંબઈ: એકનાથ શિંદેની શિવસેના સત્તાવાર રીતે ભલે એમ કહેતી હોય કે બાંદરાની હોટલમાં કોર્પોરેટરોને ટ્રેનિંગ માટે રાખવામાં આવ્યા છે અને ભાજપવાળા ભલે એવો દાવો કરતા હોય કે શિંદે દ્વારા કોઈ જાતનો સોદાબાજીનો પ્રસ્તાવ નથી આવ્યો પરંતુ વાસ્તવમાં પડદા પાછળ સોદાબાજી શરુ થઈ ચૂકી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ શિંદેએ ભાજપને સાફ સાફ જણાવ્યું છે કે અમારા ટેકા વિના ભાજપના મેયર શક્ય જ નથી. અમે બેઠક સમજૂતીમાં પણ ઘણો ભોગ આપ્યો છે.

ગુજરાત સમાચાર 19 Jan 2026 5:20 am

સરાહનીય પહેલ:10 વર્ષ પહેલાં સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફૂટબોલ શીખવાડવા પહેલ કરી, 2 નેશનલ ટીમમાં, 15 સ્ટેટ લેવલે રમે છે

10 વર્ષ પહેલાં શહેરની સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફૂટબોલ શીખવાડવાની પહેલ કહાની ટાઇમ ફાઉન્ડેશને શરૂ કરી હતી, જેમાંથી બે વિદ્યાર્થિની ભારતીય ટીમમાં અને 15 વિદ્યાર્થિની સ્ટેટ લેવલે રમી ચૂકી છે. કોચ લલિતા સેની જણાવે છે કે, શરૂઆતમાં અમે બે સરકારી સ્કૂલમાં ગયાં, જ્યાં શિક્ષકોની મદદથી અમે ખેલાડીઓ શોધ્યા, પરંતુ સૌથી મોટો પડકાર વાલીઓને સમજાવવાનો હતો. શરૂઆતમાં વિદ્યાર્થિનીઓની સાથે વાલી પણ મેદાન પર આવતા હતા. વાલીઓને સમજાવ્યું કે ગેમ શું હોય છે, આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડી કોણ છે તે સમજાવ્યું. ત્યારબાદ વાલીઓ તેમની દીકરીઓને નિયમિત મોકલતા થયા. અત્યારે 45 વિદ્યાર્થિની તાલીમ લઈ રહી છે, જેમાંથી બે ભારતની ટીમમાંથી ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે, જ્યારે મોટા ભાગની ખેલાડી નેશનલ લેવલની મેચ રમી રહી છે. વિદ્યાર્થિનીઓને ઘરે લેવા અને મૂકવા માટે વાનની સુવિધા હતી. હવે સંખ્યા વધતા બસ વસાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:18 am

8 લાખ લોકોને મળશે રાહત:શેલા, સનાથલ અને ગોધાવીમાં ડ્રેનેજની સમસ્યાનો અંત આવશે

ઔડાએ 114 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન અને 234 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું શરૂ કરેલું કામ પૂર્ણતાને આરે છે, જેનાથી શેલા, મનીપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ સહિતના વિસ્તારના 8 લાખ લોકોને ગટર ઊભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. એશિયન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 24.3 કિમી લાંબી સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી પૂર્ણ કરાશે અને વરસાદી પાણી ભરાવાના સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. 3.3 કિમી આરસીસી બોક્સ અને 21 કિમીની લાઈન પાઈપ વડે શરૂ કરાશે. પાઈપની પહોળાઇ જુદા-જુદા વિસ્તારોમાં 600 ડાયામીટરથી લઇને 2200 ડાયામીટર સુધીની રહેશે. હાલમાં મ્યુનિ. દ્વારા વેસ્ટર્ન ટ્રંક લાઇન શરૂ કરાઈ છે તેમાં રિંગ રોડથી અંદરના વિસ્તારોની પેટા લાઇનને જોડાશે અને વર્ષો જૂની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. હાલમાં વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી શરૂ કરાઈ છે તેમાં રિંગ રોડથી અંદરના વિસ્તારોના લાઇનનું જોડાણ હજુ થયું નથી. આવનારા બેથી ત્રણ મહિનામાં વરસાદ પહેલા આ કામને પૂર્ણ કરીને લોકો માટે શરૂ કરી દેવાશે. વિસલપુરમાં ઔડા 107 એમએલડીનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાશે. પ્લાન્ટ શરૂ થયા બાદ રોજ 10 કરોડ 70 લાખ લિટર પાણીનું શુદ્ધીકરણ કરાશે. એટલે કે રોજ 5 લાખ લોકો જેટલા પાણીનો ઉપયોગ કરે તેનું શુદ્ધીકરણ કરાશે. 130 કરોડથી વધુના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી આ વર્ષે પૂર્ણ કરવામાં આવશે. દર કલાકે 1.37 કરોડ લિટર પાણીનું વહન થશેઔડાએ વરસાદી પાણીના નિકાલ માટે જે પાઈપલાઈન નાખી છે તેના દ્વારા પ્રતિ સેકન્ડ સરેરાશ 3800 લિટર પાણી અને પ્રતિ કલાકે 1.37 કરોડ લિટર પાણીનું વહન 2200 ડાયામીટર પહોળાઇ ધરાવતી પાઈપથી થશે. દરેક વિસ્તારમાં જરૂરિયાત પ્રમાણે પહોળાઇની પાઇપલાઇન અને આરસીસીના ડક્ટ બનાવાઈ છે. વર્ષોથી શેલા, સનાથલ, મનીપુર, તેલાવમાં ગટરના પાણી બેક મારે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:16 am

46 સીટરની પ્રીમિયમ બસ મંગળવારથી દોડશે:ગાંધીનગર-રાજકોટ વચ્ચે વાયા અમદાવાદથી STની એસી બસ

વાયા અમદાવાદ થઈ ગાંધીનગર-રાજકોટ વચ્ચે મુસાફરો માટે નવી એસી બસ શરૂ થશે. ગુજરાત એસટીએ 20 જાન્યુઆરીથી ગાંધીનગર–રાજકોટ રૂટ પર 46 સીટર પ્રીમિયમ એસી બસનું નિયમિત સંચાલન શરૂ કરશે. આ સેવાથી પેસેન્જરોને રાહત મળશે. હાલ એસટી નિગમ અમદાવાદ–રાજકોટ રૂટ પર દર કલાકે વોલ્વો બસનું સંચાલન કરે છે. ગાંધીનગર–રાજકોટ રૂટ પર સવાર-સાંજ વોલ્વો બસ સેવા મળશે. આ નવી 46 સીટર એસી બસ સવારે 7.30 વાગે ગાંધીનગરથી રાજકોટ જવા ઉપડશે અને સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે. ખાસ કરી, અમદાવાદના પશ્ચિમ અને મધ્ય વિસ્તારમાંથી રાજકોટ જતા મુસાફરો માટે આ બસ લાભદાયી થશે. 46 સીટર એસી બસમાં આરામદાયક બેઠકો અને પૂરતી લેગ સ્પેસ છે, જેથી લાંબી મુસાફરીમાં થાક ન લાગે અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ મળે. રાણીપ, નહેરુનગર અને ઈસ્કોન થઈ પસાર થશેઆ એસી બસ ગાંધીનગરથી રાણીપ, નેહરૂનગર અને ઈસ્કોનથી પસાર થઈ રાજકોટ પહોંચશે. શહેરના મુખ્ય વિસ્તારને આવરી લેતા આ રૂટના કારણે મુસાફરોને સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી મળશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:15 am

ગ્રીન એનર્જી થકી 1.25 મેગાવોટ વીજળીનું ઉત્પાદન:નરોડા GIDCએ સૌર-પવન ઊર્જાથી મહિને 50 લાખ સુધી વીજ બિલ ઘટાડ્યું

ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં નરોડા જીઆઈડીસીએ અન્ય જીઆઈડીસી માટે નવી દિશા દર્શાવી છે. પહેલીવાર નરોડા એન્વાયરો પ્રોજેક્ટે સોલાર પ્લાન્ટ અને વિન્ડ મિલ સ્થાપિત કરી ગ્રીન એનર્જીનો સફળ ઉપયોગ શરૂ કર્યો છે. જેના થકી ઉદ્યોગોને મોટો આર્થિક લાભ થયો છે. દર મહિને 60 લાખ વીજ બિલ આવતું હતું તે હવે 10 લાખ થઈ ગયું છે. બિલમાં 50 લાખ સુધીનો ઘટાડો થયો છે. નરોડા એન્વાયરો પ્રોજેક્ટે લગાવેલા 4.5 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને વિન્ડ મિલથી 1.25 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. આ વ્યવસ્થાથી દર મહિને વિન્ડ મિલમાંથી અંદાજે રૂ. 10 લાખ અને સોલાર પ્લાન્ટમાંથી રૂ. 35 લાખની વીજળીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે વીજ ખર્ચમાં થયેલી બચત ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બનશે, નરોડા જીઆઈડીસીનું આ મોડલ હવે રાજ્યના અન્ય ઔદ્યોગિક વિસ્તારો માટે પ્રેરણારૂપ બનતું જઈ રહ્યું છે. દરેક જીઆઈડીસીએ આ મોડેલ અપનાવવું જોઈએગ્રીન એનર્જી એ હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા છે. નરોડા જીઆઈડીસીએ સોલાર અને વિન્ડ પાવર અપનાવીને સાબિત કર્યું છે કે પર્યાવરણની ચિંતા સાથે ઉદ્યોગોને નફાકારક બનાવી શકાય છે. દરેક GIDC આ મોડલ અપનાવે તો ઉદ્યોગ અને પ્રકૃતિ બંનેનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. - શૈલેશ પટવારી, પૂર્વ પ્રમુખ, નરોડા એન્વાયરો પ્રોજેકટ

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:13 am

પોલીસ કાર્યવાહી:પૂર્વ મંત્રીના ચશ્માં લઈને ભાગી ગયેલા 3 યુવકને પોલીસે 8 કલાકમાં જ પકડી લીધા

મેઘાણીનગર વિસ્તારમાં 15 જાન્યુઆરીએ પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારની કારને ત્રણ યુવકોએ ઓવરટેક કરતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા પૂર્વ મંત્રીએ અપશબ્દો બોલતાં યુવકો મંત્રીજીએ પહેરેલા ચશ્માં લઈને ભાગી ગયા હતા. ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે મોટો ગુનો થયો નહોતો. જોકે પૂર્વ મંત્રીએ પોલીસને ફોન કરતાં પોલીસની 5 ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી અને ગંભીર ગુનાની તપાસ હોય તેમ નેતાના સામાન્ય ચશ્માંની શોધખોળ શરૂ કરી હતી. પતંગ ચગાવવા આવેલા યુવકો કોના ઘરે ગયા હતા, તેનું પગેરું પોલીસે સીસીટીવી કેમેરાના આધારે શોધી કાઢ્યું હતું અને 8 કલાકમાં ત્રણેયને નિકોલમાંથી પકડી લીધા હતા. નેતાજીએ ફરિયાદ આપવાનો ઇનકાર કર્યો તો પોલીસે જાતે ફરિયાદી બની ત્રણેય યુવકો સામે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી હતી. મેઘાણીનગરમાં લૂંટ, ઝઘડા અને હત્યાના બનાવો વારંવાર સામે આવે છે. પોલીસ ગુનેગારોને પકડી શકતી નથી, ત્યાં પૂર્વ કેબિનેટ મંત્રીના ચશ્માં ગુમ થતાં પોલીસ સ્ટાફ કામે લાગી ગયો હતો. મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ, અપહરણ, ઠગાઈ, પ્રોહિબિશન, ખૂન, ખૂનનો પ્રયાસ જેવા બનાવો બનતા રહે છે. ખાસ કામગીરી માટે રાણીપ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફ રખાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:12 am

સાંત્વના આપવાનો માનવીય પ્રયાસ:45 વર્ષથી રોજ શોકપત્ર પોસ્ટ કરવાનો ક્રમ, 12 હજાર પરિવારને પત્ર મોકલ્યા

કોઈના ઘરમાં સ્વજનનું અવસાન થાય ત્યારે સાંત્વનાના શબ્દો પણ મોટી હિંમત આપે છે. શાહીબાગમાં રહેતા અને રાજસ્થાન હોસ્પિટલમાં ફરજ બજાવતાં 75 વર્ષીય કાંતિભાઈ પટેલ 1980થી એવો માનવીય પ્રયાસ કરી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. જ્યારે પણ કોઈ પરિવારના ઘરે દુ:ખદ પ્રસંગ બને ત્યારે કાંતિભાઈ તેમને પત્ર લખી સંવેદના-આશ્વાસન પાઠવે છે. છાપામાં છપાતાં બેસણામાંથી સરનામું લઈ અત્યાર સુધીમાં તેમણે 12 હજારથી વધુ પરિવારોને શોકપત્ર મોકલ્યા છે. આ રીતે મળી પ્રેરણા : સમય અને શબ્દોથી પણ સેવા થાયવલ્લભવિદ્યાનગરમાં બીએનો અભ્યાસ કરતા હતા ત્યારે ગુજરાતી સાહિત્યના પ્રોફેસરે કહ્યું હતું કે, ‘સેવા માટે પૈસાની જરૂર નથી તે તો સમય આપીને પણ કરી શકાય. સેવા માટે સમય અને શબ્દો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. બસ આના પછી કાંતિભાઈને લોકોના દુઃખમાં સહભાગી થવાનો વિચાર આવ્યો. દિવંગતોને મોકલતા પત્રમાં જીવન સંદેશ પણ ટાંકે છેકાંતિભાઈ પત્રમાં જીવન સંદેશ પણ ટાંકે છે, જેમ કે, એક પત્રમાં લખ્યું હતું- ભગવાન આ ધરતી પર દરેકને હોમવર્ક આપીને મોકલે છે, જે પૂર્ણ થતાં પોતાની પાસે બોલાવી લે છે. પ્રકૃતિમાં જેમ ભરતી-ઓટ, ઊગમવું-આથમવું, ખીલવું-કરમાવું હોય છે તેમ આપણા માનવ જીવનમાં જીવન-મરણ.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:10 am

સિટી એન્કર:ગોમતીપુરમાં દારૂ-જુગારનો અડ્ડો બંધ કરાવી યુવકોએ લાઇબ્રેરી, કોચિંગ ક્લાસ શરૂ કર્યાં, જેના થકી 13 યુવકે સરકારી નોકરી મેળવી

ગોમતીપુરમાં એપેરેલ પાર્ક પાસેની ખાલી જગ્યામાં વર્ષોથી દારૂ-જુગારનો અડ્ડો ચાલતો હતો. 17 યુવાનોના એક ગ્રૂપે 10થી 15 વખત પોલીસ ફરિયાદ કરી અડ્ડો દૂર કરાવ્યો, પણ ફરી અડ્ડો શરૂ થયો તો જનતા રેડ કરી અને જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું. 2013થી જયભીમ જ્યોત ફાઉન્ડેશનના નામે ચાલતી સંસ્થા થકી 13 વિદ્યાર્થી સરકારી નોકરીમાં લાગ્યા છે. ત્રણ શ્રમજીવીના દીકરાને ક્લાસ-3ની નોકરી, આશા વર્કરનો દીકરો સરકારી અધિકારી બન્યોગોમતીપુરની રણજિત સોલંકીની ચાલીમાં રહેતા કરણ પરમાર સહિત શ્રમજીવી પરિવારના 3 દીકરાએ સંસ્થાની લાઇબ્રેરીમાં તૈયારી કરી મ્યુનિ.માં ક્લાસ-3ની નોકરી મેળવી છે. ગોમતીપુરના મોટા વણકર વાસનો હાર્દિક મેવાડા અહીં 12થી 13 કલાક વાંચતો હતો. આજે તે આર એન્ડ બી અધિકારી છે અને હાલ જીપીએસસી પાસ કરી છે. શ્રીમંત પરિવાર પણ એડમિશન લેવા આવે છેસંસ્થાના સભ્ય અને શિક્ષક ભાવેશ મકવાણા જણાવે છે કે, સારા પરિણામને જોઈને શ્રીમંત પરિવારનાં બાળકો પણ પ્રવેશ લેવા આવે છે, પરંતુ અમે તેમને ના કહી દઈએ છીએ, કેમ કે સંસ્થા માત્ર જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે છે. લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નિ:શુલ્ક કરાવાય છેફાઉન્ડેશનના સભ્ય રવિ ચાવડા, મુકેશ પરમારના જણાવ્યા મુજબ, સરકારના સહયોગથી ધો. 5થી 10નાં બાળકોને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું હતું. સારા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીને ડબલ સ્કોલરશિપરૂપે ફી પરત આપીએ છીએ. લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, જેનો કોઈ ચાર્જ લેવાતો નથી.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:02 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પ્રયાગરાજ પોલીસે શંકરાચાર્યને રોક્યા, સાધુ સાથે મારઝૂડ; મોદીએ કહ્યું, બિહાર પછી બંગાળમાં જંગલરાજનો અંત થશે, વડોદરામાં વિદેશી નોટના થપ્પા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના રહ્યા. બીજા સમાચાર અમેરિકાની 'ગ્રીનલેન્ડ' ખરીદવાની જીદ સામે યુરોપના લાલઘૂમ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. શંકરાચાર્યની પાલખી પોલીસે ઢસડી, છત્ર તૂટ્યું:માઘ મેળામાં જતા રોક્યા, શિષ્યો સાથે ઘર્ષણ; સાધુના વાળ ખેંચીને મારઝૂડ, હોબાળાના વીડિયો-PHOTOS મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો અને પોલીસકર્મીઓ સામસામે આવી ગયા. પોલીસે ભીડને જોતા શંકરાચાર્યને રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહ્યું હતું, પરંતુ શિષ્યો માન્યા નહીં અને આગળ વધવા લાગ્યા. આના પર દલીલ થઈ, પછી જોતજોતામાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. અધિકારીઓએ સમજાવવાના તમામ પ્રયાસો કર્યા, હાથ જોડ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. આ પછી પોલીસે શંકરાચાર્યના તમામ સમર્થકોને કસ્ટડીમાં લઈ લીધા. બાદમાં શંકરાચાર્યની પાલખીને ખેંચીને સંગમથી 1 કિમી દૂર લઈ જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર પણ તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મોદીએ કહ્યું- જનતા TMCના જંગલ રાજને બદલવા માગે છે:ભાજપ આ માટે તૈયાર છે; જેવુ બિહારમાં કર્યું તેવુ બંગાળમાં પણ કરીશું PM નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં કહ્યું કે અહીંની જનતા હવે અસલી પરિવર્તન ઈચ્છે છે. દરેક વ્યક્તિ 15 વર્ષના મહાજંગલ રાજને બદલવા માગે છે. અત્યારે તો BJP-NDAએ બિહારમાં જંગલરાજને રોક્યું છે, હવે તેઓ TMCના મહાજંગલરાજને વિદાય આપવા માટે તૈયાર છે. PMએ સિંગુરમાં જનસભાને સંબોધતા કહ્યું- ઘૂસણખોરોને બચાવવા માટે TMC કોઈપણ હદ સુધી જઈ શકે છે. કેન્દ્ર સરકારે ઘણી વખત પત્ર લખ્યો કે બોર્ડર પર ફેન્સિંગ કરવા માટે જમીન જોઈએ છે, પરંતુ બંગાળ સરકારને કોઈ ફરક પડતો નથી કારણ કે ઘૂસણખોરો તેમના પાકા મતદારો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. શિંદે જૂથે અઢી વર્ષ સુધી BMC મેયર પદ માંગ્યું:29 કાઉન્સિલરો હોટલમાં કેદ; રાઉતે કહ્યું- શિંદે પોતે નથી ઈચ્છતા કે મુંબઈમાં ભાજપનો મેયર હોય BMCના ચૂંટણી પરિણામોથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ગૂંચવણ ઊભી થઈ છે. ભાજપ મુંબઈમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. પ્રથમ વખત ભાજપના મેયર બનવાના સ્પષ્ટ સંકેતો છે. જોકે, એકનાથ શિંદેએ તેમના 29 નવા કોર્પોરેટરોને બાંદ્રાની હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં ખસેડી દીધા છે. બહાર કડક સુરક્ષા વ્યવસ્થા છે. સૂત્રો મુજબ, શિંદે જૂથનું કહેવું છે કે 2026 શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું જન્મ શતાબ્દી વર્ષ છે. તેથી ઓછામાં ઓછા અઢી વર્ષ શિવસેનાનો મેયર હોવો જોઈએ. આ મુદ્દે ભાજપ-શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અમેરિકાની 'ગ્રીનલેન્ડ' ખરીદવાની જીદ સામે યુરોપ લાલઘૂમ:હજારો લોકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- ગ્રીનલેન્ડ વેચવા માટે નથી, સોદો કર્યો તો ભોગવવું પડશે ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના વિરોધમાં શનિવારે હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગ્રીનલેન્ડ પર કબજાને લઈને આપેલા નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી. પ્રદર્શનકારીઓએ 'ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી' ના નારા લગાવ્યા. બરફીલા રસ્તાઓ વચ્ચે પ્રદર્શનકારીઓ ગ્રીનલેન્ડની રાજધાની નુઉકના ડાઉનટાઉનથી અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સુધી પહોંચ્યા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા અને વિરોધી પોસ્ટરો પકડી રાખ્યા. પોલીસના મતે આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે, જેમાં નુઉકની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી સામેલ થઈ. સંપૂર્ણ સમાચાર વાંચો 5. યુપીમાં ધુમ્મસથી 70 વાહનો અથડાયા, 12નાં મોત: હિમાચલમાં તાપમાન -2.6 ડિગ્રી નોંધાયું; બિહારના 15 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું રવિવારે ઉત્તર પ્રદેશના 50 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ઝીરો વિઝિબિલિટીના કારણે, વિવિધ શહેરોમાં 70 વાહનો અથડાયા હતા. કુલ 22 અકસ્માતોમાં 12 લોકોના મોત અને 75 ઘાયલ થયા હતા. એકલા અમરોહામાં 15 વાહનો અથડાયા હતા. શનિવારે પણ 16 જિલ્લાઓમાં માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. હિમાચલ પ્રદેશના તાબોમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન -2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શનિવારે ઉત્તરાખંડના ચમોલી અને પિથોરાગઢના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. બિહારના 18 જિલ્લાઓ માટે ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 9 નંબરની ફોર્ચ્યુનર ડિવાઇડર કૂદી STમાં અથડાઈ, ભયાનક CCTV:ભાજપનેતાના પુત્રનું મોત, 3ને ઈજા, બસ ઉપર આવી ને કાર નીચે ઉતરતા કચ્ચરઘાણ, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માત આજે(18 જાન્યુઆરી, 2026) વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ફોર્ચ્યુનર ડિવાઈડર કુદી સામેના રોડ પર ઉતરી ગઈ જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુંનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર GJ 18 EF 9નો કચ્ચરઘાણ બોલી ગયો છે. રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાઈ રહ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 7. USA સહિત 20 દેશની 2.71 કરોડની નોટના થપ્પા લાગ્યા:આટલું વિદેશી ચલણ ક્યાંથી આવ્યું? પોલીસ પણ ગોથે ચઢી, વડોદરામાં 10 લાખના લૂંટ કેસમાં અણધાર્યો વળાંક વડોદરાના વારસિયા વિસ્તારમાં ગિફ્ટ શોપના વેપારીને માર મારીને ભારતીય અને વિદેશી કરન્સી સહિત 10 લાખ રૂપિયાની રોકડ લૂંટ કરવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધી આ કેસમાં 7 આરોપી પકડાયા છે. આ લૂંટની સંપૂર્ણ રોકડ તથા વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે. આ સાથે જ 20 દેશોની 7808 ચલણી નોટો પણ મળી આવી છે. જેની રકમ ભારતીય ચલણ પ્રમાણે 2.71.કરોડ રૂપિયા થાય છે, ત્યારે સવાલ એ થાય છે કે લૂંટ માત્ર 10 લાખ રૂપિયાની થઈ હતી તો આટલી મોટી રકમ ક્યાંથી આવી? સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ પપ્પા મને બચાવી લો, હું મરવા નથી માગતો...!:ને કાર સહિત 30 ફૂટ ઊંડા કાદવમાં એન્જિનિયર સમાઈ ગયો; પિતાને કોલ કર્યો, 80 મિનિટ સુધી મદદ માટે બૂમો પાડી, આખરે દમ તોડ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ટ્રમ્પના ગાઝા પીસ બોર્ડથી નારાજ ઇઝરાયલ:કહ્યું- વાતચીત વિના ટીમ બનાવી, આ નીતિ વિરુદ્ધ છે; શાંતિ બોર્ડમાં ભારતીય મૂળના અજય બંગા પણ સામેલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી અથડામણમાં 7 જવાન ઘાયલ:3 એરલિફ્ટ કરાયા; કિશ્તવાડના સોનારમાં ઓપરેશન ત્રાસી-1 ચાલુ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું- ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા:ટ્રમ્પનો જવાબ- ઈરાન સરકાર થોડા દિવસોની મહેમાન; ઈરાન હિંસામાં 3 હજારથી વધુ મોત થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ ટોપ-10 કંપનીઓમાં 3 કંપનીઓની વેલ્યુ ₹75,855 કરોડ વધી:SBI ટોપ ગેનર રહી, તેની વેલ્યુ ₹39,045 કરોડ વધી; ઇન્ફોસિસનું માર્કેટ કેપ પણ વધ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ આ સપ્તાહ કેવું રહેશે?:મિથુન રાશિ માટે વેપારના વિસ્તરણનો શ્રેષ્ઠ સમય, તુલા જાતકોને મહેનતનું ફળ મળશે, સિંહ રાશિને આક્રમક સ્વભાવથી નુકસાનની શક્યતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ક્રિકેટઃ ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની નાલેશીભરી હાર:પહેલીવાર ભારતમાં વન-ડે સિરીઝ કબજે કરી, 41 રનથી મેચ જીતી; કોહલીની લડાયક સેન્ચુરી કામ ન આવી (સંપૂર્ણ સમાચાર વાંચો) અજબ ગજબ મહિલાએ જે વાસણને ભૂલથી કચરો સમજી રહી હતી, તેની કિંમત ₹29 લાખ નીકળી 91 વર્ષીય અમેરિકન મહિલા લોઈસ જર્ગેન્સ પાસે એક માટીનું વાસણ હતું, જેને તે કચરો માનતી હતી. તેને લાગ્યું કે તે તેને વેચીને 2000 રૂપિયા સુધી કમાઈ શકે છે. તેણે તે એક હરાજીમાં વેચ્યું, અને તે 29 લાખમાં વેચાયું. ️ ચર્ચિત નિવેદન ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. રસોડાથી હોસ્પિટલ સુધી 'સિલ્વર શોક':ચાંદીના ભાવ વધતા રોકાણકારો માલામાલ પણ આયુર્વેદિક દવાઓ અને દાંતની કેવિટી ભરવાનું મોંઘું થયું 2. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ સૈનિકો મોકલીને ગ્રીનલેન્ડ પર કબજો કેમ ન કરી શકે; વિરોધ કરી રહેલા આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ; શું NATO તૂટશે? 3. દાઉદને શારજાહ સ્ટેડિયમમાં મારવાનો પ્લાન કેમ ફેલ ગયો?:મુંબઇના ડોન હુસૈન ‘ઉસ્તરા’ની અસલી કહાની, દાઉદના સામ્રાજ્યને એકલે હાથે હચમચાવી નાખ્યું 4. સન્ડે જઝબાતઃ 17 વર્ષનો છું, ટીબીએ પરિવાર છીનવી લીધો:સંબંધીઓ ડરથી દૂર ભાગી ગયા, એક અજાણી વ્યક્તિએ દત્તક લઈને મને જીવન આપ્યું 5. શું થલાપતિ વિજય તમિલનાડુમાં BJPને 24 બેઠકો જિતાડશે?:કોંગ્રેસે સ્ટાલિન પાસે 40 બેઠકો માગી; ગઠબંધન તૂટશે, તો BJPને ફાયદો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મહા મહિનાના પહેલા દિવસે ગ્રહોની અનુકૂળતા મિથુન રાશિના પ્રગતિના દ્વાર ખોલશે, કર્ક જાતકોનો ખર્ચ વધશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 5:00 am

અભયમ ટીમની સુંદર કામગીરી:ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ લગ્ન કરેલા દંપતિની વહારે અભયમે સમાધાન કરાવ્યું

ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મધ્યરાત્રિએ એક દંપતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, સાસરી પરિવાર દ્વારા તેઓને બાળકો સહિત ઝગડો કરી કાઢી મુકવામાં આવેલ છે. ફરિયાદની ટેલીફોનીક જાણ થતાંની સાથે જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પો.કોન્સ્ટેબલ જયશ્રીબેન જાંબુકિયા તેમજ પાયલોટ અમિતભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર દંપતીની મદદ માટે દોડી ગયેલ હતા. આ દરમિયાન શિયાળાની મધ્યરાત્રિની ઠંડીમાં બાળકો સહીત દંપતી રસ્તા પર આવી જતા જોઈ કુતુહલ સર્જાયું હતું. આ બાબતે અભયમ ટીમ દ્વારા ઘટનાની વિગત મેળવતા જાણવા મળેલ કે દંપતીએ આજથી પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા. ત્યારબાદ તેઓને સંતાનમાં એક દીકરો (ઉ.વ.ત્રણ વર્ષ) તથા એક દીકરી (સાત મહિના) હાલ છે. પરંતુ પ્રેમલગ્ન કરેલ હોવાથી નારાજ સાસરિયા દ્વારા અવાર નવાર તેઓને માનસિક પ્રતાડિત કરી ઘરમાં સાથે નહીં રાખવા ઝઘડો થતો હતો. આ ઝઘડો હદ વટાવતા સાસરીયા દ્વારા તેઓનો કોઈ હક નથી તેવું કહી મધ્યરાત્રીએ ઘરેથી કાઢી મુકેલ હતા. જેના પગલે અભયમ ટીમ દ્વારા પીડિત દંપતી સાથે તેના સાસરીમાં ગયેલ અને તેમના સાસુ અને જેઠ સાથે વાતચીત કરી મહિલા અને તેના પતિને સાથે રાખી અસરકારક કાઉન્સેલિંગ કરી ઝીણવટપૂર્વક સમસ્યા સમાધાન અંગેની ચર્ચા કરેલ. અંતે પરિણામ સ્વરૂપે ઝઘડાનું સમાધાન કરી મહિલાએ પ્રેમપૂર્વક એના પતિ અને બાળકો સાથે સાસરી પરિવારમાં રહેવાનું નક્કી કરેલ. આમ 181 અભયમ ટીમના અસરકારક પ્રયત્નોથી ઘરેથી બહાર કાઢી મુકેલ દંપતીને સાસરી પરિવાર ભૂતકાળ ભુલાવી સુખદ રીતે અપનાવવા તૈયાર થયેલ હતો. જેના પગલે પીડિત દંપતી દ્વારા પણ 181 અભયમ ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:53 am

ભાસ્કર વિશેષ:ઈમરજન્સી સેવા બની જીવનદાયીની : કચ્છમાં વર્ષ 2025માં 675 નવજાતોએ 108 એમ્બ્યુલન્સમાં જ લીધો પ્રથમ શ્વાસ

કચ્છ જિલ્લો પોતાની ભૌગોલિક વિષમતા અને રણ વિસ્તારના કારણે જાણીતો છે. અહીં અંતરિયાળ ગામડાઓથી હોસ્પિટલ સુધી પહોંચવું એ આજે પણ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગની પ્રસૂતાઓ માટે ‘આશીર્વાદ’ સાબિત થઈ રહી છે. વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છમાં 108ની ટીમે અદભૂત કામગીરી કરતા કુલ 675 જેટલી સફળ ડિલિવરી એમ્બ્યુલન્સની અંદર જ કરાવી છે. ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા ઉપડે છે. 2025માં એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબોને કેસ જટિલ લાગતા તેમણે પ્રસૂતાને અન્ય મોટી હોસ્પિટલમાં રિફર કરી હોય. પરંતુ, રસ્તામાં સમય ઓછો હોવાથી અને પીડા વધતા 108 એમ્બ્યુલન્સમાં હાજર ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને પાયલોટે પોતાની સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત અને નોર્મલ ડિલિવરી કરાવી છે. એમ્બ્યુલન્સમાં તૈનાત EMT સ્ટાફને આવી કટોકટીની સ્થિતિ માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. જ્યારે હોસ્પિટલ દૂર હોય અને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી અનિવાર્ય બને, ત્યારે આ સ્ટાફ તબીબી સાધનોની મદદથી જીવના જોખમે પણ માતા અને બાળક બંનેને સુરક્ષિત રાખે છે.લખપત, પાવરપટ્ટી, ખાવડા કે વાગડ જેવા છેવાડાના વિસ્તારોમાં જ્યાં વાહનવ્યવહારની મર્યાદા છે, ત્યાં 108ના અનુભવી સ્ટાફની સતર્કતાના કારણે અનેક પ્રસૂતાઓ અને નવજાતને નવજીવન આપ્યું છે.જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં 108 ઉપયોગી સાબીત થઇ છે. CHC- સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલમાં નિષ્ણાંતોની નિમણૂક સમયની માંગજો ગ્રામીણ સ્તરે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં કાયમી ધોરણે અનુભવી ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) અને પૂરતા નર્સિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવે, તો પ્રસૂતાઓને ગંભીર હાલતમાં રીફર કરવાની ફરજ ન પડે. સ્થાનિક સ્તરે જ યોગ્ય સારવાર મળે તો જોખમી કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે, અને 108 પરનું ભારણ પણ ઘટી શકે છે. વર્ષ 2025માં 675 જેટલી સફળ ડિલિવરી એ માત્ર એક આંકડો નથી, પરંતુ એ સેંકડો પરિવારોના ઘરમાં ફેલાયેલી ખુશી છે. જે 108 સેવાના કર્મયોગીઓની આ નિષ્ઠાને કારણે જ આજે કચ્છના અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકો પોતાને સુરક્ષિત અનુભવે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:52 am

મંડે પોઝિટીવ:કચ્છમાં હજારો કાંકરેજ ગાયની લાખોની કિંમતે માત્ર આંગળીના ટેરવે જ લે-વેચ

ગાય માતા છે અને એમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એવું સનાતન સમાજ સદીઓથી કહે છે અને ગાયના મુદ્દે વખતોવખત વાદ-વિવાદ પણ થાય છે. એક સમયે ઘર-ઘર ગાયપાલન થતું પણ હવે શહેરોમાં એટલો ખર્ચ અને સમય આપી ન સકતા ગાયની જવાબદારી ગામડાઓએ ઉઠાવી છે અને એકદમ ગંભીરતાથી ઉઠાવી છે એની વાત આજે આપને શબ્દોના સથવારે કરવી છે. કચ્છના શુધ્ધ કાંકરેજ ગોવંશની લે-વેંચ માટે સોશ્યલ માધ્યમનો સદુપયોગ RSS પ્રેરિત ગૌસેવા ગતિવિધિ- કચ્છ વિભાગ દ્વારા 2019થી ‘કચ્છ કાંકરેજ ગોબ્યુરો’ના નામે સંચાલિત અને 3500થી વધુ સભ્યો સાથેના આ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા થઈ રહ્યો છે. આ માધ્યમે અત્યાર સુધી થઈ ચુકી છે હજારો ગૌવંશની લે વેંચ. રસ્તે રઝડતો મુકી દેવાતો ગૌવંશ અને અમુક માલધારીઓ પણ પોતાના ધણમાં એકથી વધુ પ્રજાતી રાખતા હોય ત્યારે કચ્છનો અસલ કાંકરેજ ગોવંશ જ્યારે જર્સી, શંકર અને એચ.એફ જાતના પશુઓ સાથે સંસર્ગમાં આવે છે. તેનાંથી ક્રોસ બ્રિડિંગ થવા જેવાં કારણોથી વર્ણશંકર અને વિકૃત પ્રજાતી ઉત્પન્ન થઈ રહી છે. આવા સમયે કોઇ ગોપ્રેમીને શુધ્ધ દેશી ગૌવંશની ખરીદી કરવી હોય ત્યારે છેતરાઇ જવાનો મોટો ડર રહેતો હોય છે અને સામાન્ય ફેરફાર વચ્ચે ખાત્રી કરવી પણ મુશ્કેલ બની જતી હોય છે. આવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગો સેવા ગતિવિધિ-કચ્છ વિભાગ દ્વારા 3500થી વધુ ગોપાલક માલધારીઓ અને પોતાનાં ઘરે કે વાડીએ ગાયને રાખતા ગોપ્રેમી લોકોને જોડીને ‘કચ્છ કાંકરેજ ગૌ બ્યુરો’ના નામે વ્હોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યાં છે. જેમાં ગૌવંશ ખરીદનાર અને વેચાણ કરવા ઇચ્છનાર કોઇ પણ વ્યકિત પોતાના નામ, સરનામાં અને મો. નંબર સાથે ગૌવંશની કિંમત, દુધની માત્રા, ઉંમર, વેતર અને દેખાવ જાણવા એક ફોટા સાથેનો મેસેજ મોકલી શકે છે. ગૌસંવર્ધનના કાર્યથી જોડાયેલ કચ્છના જાણીતા ગૌપ્રેમી અને ગૌસેવા ગતિવિધિના કચ્છ વિભાગ સંયોજક પરબતભાઇ ગોરસીયા જણાવે છે કે કોઈપણ વ્યક્તિગત સ્વાર્થ વગર ચાલતાં આ ગ્રુપનો વ્યાપ ન માત્ર કચ્છ પણ છેક સૌરાષ્ટ્ર સુધી હોવાથી જેવો મેસેજ મુકાય કે એક-બે દિવસમાં જ અને કેટલાય કિસ્સામાં તો વેચનાર અને ખરીદનાર ગોપાલકોની પરસ્પર ટેલિફોનીક વાતચીતથી માત્ર પાંચ-દસ મિનિટમાં એ ગૌવંશની લે-વેંચનો હજારો નહીં પણ લાખોનો સોદો થઈ જાય છે. ગ્રુપમાં મેસેજ મુકાયા પછી લેનાર અને વેચનાર વચ્ચે ભાવતાલ નક્કી કરવા બાબતે પરસ્પર સીધી વાત થતી હોવાથી દલાલ કે વચેટીયાનો પણ પ્રશ્ન ન રહેતો હોવાથી આ પદ્ધતિ ખૂબ સફળ અને વિશ્વાસપાત્ર રહી છે. કચ્છની ખેતીમાં બળદનો ઉપયોગ નહીંવત થયો હોવાથી ગોપાલકો પાસે વાછરડાઓની સંખ્યા વધે છે ત્યારે તેને સાચવવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. અને છેવટે રસ્તે રઝડતા મુકાય, કેટલાય લોકોને ઘાયલ કરીને ગંભીર નુકસાન પહોંચાડે અથવા કતલખાને પહોંચે છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેતી માટે હજી પણ બળદનો મોટે પાયે ઉપયોગ થતો હોવાથી ત્યાં કચ્છના કાંકરેજ વાછરડાઓ પ્રથમ પસંદગી હોય છે અને આ ગ્રુપના માધ્યમે અસંખ્ય વાછરડાઓ બળદ બનાવવા માટે ત્યાં સુધી મોકલાઇ ચુક્યા છે. દુધાણા અને ઉત્તમ ગૌવંશ ઉત્પન્ન કરવા જાતવાન નંદી (ધણખુંટ) હોવો પણ એટલો જ જરૂરી હોય છે અને કોઈ પણ નંદી એક જ જગ્યાએ 3 વર્ષથી વધુ સમય રહે તો સંવર્ધન વિષયે એ પણ નુકસાનકારક બને છે ત્યારે અત્યાર સુધી અનેક ગામની ગૌશાળાઓ અને માલધારીઓ પણ આ ગ્રુપને માધ્યમ બનાવીને સંતોષકારક રીતે પોતાના નંદીની અરસપરસ અદલીબદલી કરી ચુક્યા છે. માત્ર કચ્છના કોઇપણ માલધારી, ગૌશાળા સંચાલકો કે એકલદોકલ કાંકરેજ ગાય રાખતા ગોપાલકોને અમુક જરુરી નિયમના પાલન સાથે આ ગ્રુપ સાથે જોડાવું હોય તો વ્હોટ્સએપ નં. 94282 34365 ઉપર ‘જય ગૌમાતા’ લખેલ મેસેજ કરી મુખ્ય ગ્રુપ સંચાલક રામજી વેલાણીનો સંપર્ક કરી શકે છે. 2019થી ચાલતી આ યોજના ખૂબ સફળનાની નાગલપર અંજાર સ્થિત ગૌસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હીરાણી જણાવે છે કે 2019થી ચાલતી આ યોજના ખૂબ સફળ અને ઉપયોગી રહી હોવાથી સૌરાષ્ટ્રના ગીર ગૌવંશ માટે પણ આ જ પધ્ધતિથી વ્હોટ્સએપ ગ્રુપ ચલાવવાની યોજના પ્રારંભ કરી દેવાઇ છે અને તેને પણ ખૂબ સારો આવકાર મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:50 am

મંડે પોઝિટીવ:નોકરીના પહેલા વર્ષથી કમ્પ્યુટર જ્ઞાન નિ:શુલ્ક કર્યું, સતત 3 વર્ષ રાજ્યની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અપાવ્યો

ગઢડા તાલુકાના પાટણા ગામના ખેડૂતપુત્રે શિક્ષકસહાયકથી રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય સુધીના પડકારો ઝીંલ્યા છે. શાળાને ખેલપ્રવૃત્તિમાં નેશનલ કક્ષાએ 7 ગોલ્ડ મેડલ સહિત 48 મેડલ, રાજ્યકક્ષાએ 97 ગોલ્ડ મેડલ સહિત 365 મેડલ અપાવી ત્રણ વર્ષ સુધી રાજ્યમાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો છે. તદઉપરાંત વર્ષ 2019 અને 2023માં રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ શાળાની પદવી અપાવી છે. ટીમવર્કના ફેમવર્કથી કામ કરતાં આચાર્ય જી.બી.હેરમાની શાળાના ત્રણ શિક્ષકને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. પાટણા ગામના વતની અને ભાવનગર યુનિવર્સિટીમાંથી પીએડીની પદવી મેળવવનાર ર્ડા.જી.બી.હેરમાએ વર્ષ 2009માં સહાયક તરીકે સફર શરૂ કરી હતી. અમરેલીના ચાવંડ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે પસંદગી થયા બાદ જ્યાં પોતે હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યું હતું, તે ઢસા જંકશનમાં આવેલી શ્રી આર.જે.એચ. હાઇસ્કૂલમાં વર્ષ 2012થી આજદીન સુધી ફરજ નિભાવી રહ્યાં છે. આ શાળામાં આવતાં તેમણે જોયું કે, 1 હજાર જેટલાં વિદ્યાર્થીઓ પાસેથી કમ્પ્યૂટર જ્ઞાન માટે ગેરકાયદેસર 400 ફી વસૂલવામાં આવે છે. ત્યારે તેઓ સિસ્ટમની સામે પડ્યા . તેમણે નોકરીના જોખમે પણ આ કમ્પ્યૂટરની ફી બંધ કરાવી હતી. અનિયમિતતાની બદી દૂર કરતા તેમની સ્કૂલને રાજ્યની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો હતો. બોટાદ જિલ્લામાં પ્રથમ અટલ ટિંકરિંગ લેબ અમારી શાળાને 2017માં મળી. 2023માં શાળાની ધો-10 ની વિદ્યાર્થીનીને રક્ષા મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત વીરગાથા સ્પર્ધામાં નેશનલ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં દિલ્હી ખાતે બોલાવી રક્ષામંત્રી, શિક્ષણમંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હસ્તે સન્માનિત કરાઈ હતી. અત્યારસુધીમાં 90 રક્તદાન કેમ્પ કર્યા, 60 હજાર વૃક્ષોનું રોપણ શાળા અને આજુબાજુના ગામોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આશરે 90 જેટલા રક્તદાન કેમ્પ કરી 5004 જેટલા યુનિટ રક્ત એકત્રિત કરીને ભાવનગર, અમરેલી, બોટાદની વિવિધ બ્લડ બેંકોને આ રક્ત અર્પણ કરેલ સાથો સાથ થેલેસીમિયા ટેસ્ટ, થેલેસેમિયા જાગૃતિ, બ્લડ ગ્રુપીંગ, ગામ સફાઈ, વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન, લગભગ 60 હજાર જેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:46 am

પ્રભારી મંત્રીનું સ્વાગત:કચ્છ કમલમની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રીનું આગેવાનો દ્વારા અભિવાદન કરાયું

કચ્છ ના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ કચ્છ આવેલા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લેતા જિલ્લા ભાજપ દવારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રીએ મુલાકાત દરમિયાન આગેવાનો અને કાર્યકરો સાથે મળી શુભેચ્છાઓની આપ લે કરી હતી અને આગામી દિવસોમાં સૌ સાથે મળી કચ્છ જિલ્લા ને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવા આહવાહન કર્યું હતું. સમારોહમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈએ પ્રભારી મંત્રીનું સ્વાગત અભિવાદન કરી આપણા જ સંસદીય ક્ષેત્રના ધારાસભ્ય પ્રભારી મંત્રી તરીકે મળવા બદલ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પ્રભારી મંત્રીનું સ્વાગત કરી ક્ચ્છ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને પ્રભારી મંત્રી માધ્યમ અને સાથથી ઝડપી નિવેડો લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી,જિલ્લા ભાજપના હોદેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:41 am

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કેમ્પ:35 બાળકો, 40 પરીવારના એચએલએ ટેસ્ટ કરાયા

ભુજની રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 16મી જાન્યુઆરીના ભુજ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેળાવડાનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી 250 લોકો જોડાયા હતા. કેમ્પમાં 35 બાળકો અને 40 પરિવારના એચએલએ ટેસ્ટ કરી અપાયા હતા અને જે બાળકોના 100 ટકા એચએલએ મેચિંગ થશે તેમzવામાં આવશે. પ્રોજેક્ટ ચેરમેન હિમાંશુ ઠક્કર, પ્રિતેશ ઠક્કર, ધવલ રાવલ અને ક્લબના ચેરમેન રોટેરિયન રાજેશ માણેક જણાવ્યું હતું કે, ટ્રસ્ટ અને ક્લબ દ્વારા 2007થી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ક્લબના મેનેજિંગ ટ્રસ્ટી તારકભાઈ ઠક્કર દ્વારા બાળકો માટે અધ્યતન સેન્ટર અંગે માહિતી આપી હતી. ક્લબ પ્રમુખ હર્ષદભાઈ ભીંડએ મુંબઈથી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના બાળરોગ ડિપાર્ટમેન્ટના વડા ડો. શાંતુનું સેનને આવકારી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. થેલેસેમિક બાળકો માટે રક્તદાન માટે તત્પર રહેતા કમલભાઈ કારિયા, હર્ષદભાઈ ઠક્કર, રેડક્રોસ સંસ્થાના સેક્રેટરી મીરાબેન, મુસ્લિમ સમાજ બ્લડ ડોનર ગ્રુપના અબ્દુલભાઈ કેવડ, ખલીફા બ્લડ ડોનલ ગ્રુપના ગનીભાઈ રસીદભાઈ, રોટરી કેપિટલ ક્લબના રામદેવસિંહ જાડેજા, હરેશભાઈ તન્ના, ડો. મુકેશ ચંદે, આઇએમએના પ્રમુખ ડો. લવ કતીરા, અદાણી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી સહિતના આગેવાનોનું વિવિધ હોદ્દેદારો સન્માન કરાયું હતું . મંત્રી દર્શનભાઈ ઠક્કર, ડો. અભિનવ કોટક, ભરતભાઈ લુહાર, હર્ષભાઈ શાહ, હર્ષ વોરા, રોબિન રૂપારેલ, ભાવિનભાઈ શેઠ સહિતના હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા રીતેશભાઈ સંઘવી અને જયેશભાઈ કોઠારીએ સંભાળી હતી. ઉપરાંત અર્ચનાબેન, કિરણબેન, કાશ્મીરાબેન, પલકબેને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિવિધ રમત રમાડી હતી. થેલેસેમિયા બાળકોમાં દીપિકાબેન ઠક્કર, બંસરીબેન ઠક્કર સહિતનાએ ડાન્સ રજૂ કર્યો હતો. બીએચટી એટલે શું? આવો જાણીએ…થેલેસેમિયાના સંદર્ભમાં, BHTનો સામાન્ય રીતે બીટા હોમોઝાયગસ થેલેસેમિયાનો ઉલ્લેખ થાય છે, જે એક ગંભીર વારસાગત રક્તવિકાર છે. બીટા હોમોઝાયગસ થેલેસેમિયા, જેને ઘણીવાર થેલેસેમિયા મેજર અથવા કૂલીઝ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ બે પરિવર્તિત બીટા-ગ્લોબિન જનીનો એટલે કે દરેક માતા-પિતામાંથી એકને હોય તેમને વારસામાં મળે છે. આ પુખ્ત હિમોગ્લોબિન (HbA)ની સંપૂર્ણ ગેરહાજરી અથવા ગંભીર ઘટાડો તરફ દોરી જાય છે. એચએલએ રોગના જોખમને પ્રભાવિત કરે છેહ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન (HLA) સિસ્ટમ રોગ પ્રત્યે સંવેદનશીલતા નક્કી કરવામાં તથા ક્રોનિક ટ્રાન્સફ્યુઝનથી થતી ગૂંચવણોનું સંચાલન કરવામાં અને ઉપચારાત્મક સારવારને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. HLA મેચિંગ એ હિમેટોપોએટીક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનનો પાયો છે, જે ટ્રાન્સફ્યુઝન-આશ્રિત થેલેસેમિયા માટે એકમાત્ર ઉપચારાત્મક ઉપચાર છે. સ્વસ્થ વસ્તીની તુલનામાં થેલેસેમિયા દર્દીઓમાં ચોક્કસ HLA એલીલ્સ વધુ કે ઓછા સામાન્ય છે, જે સંભવિત રીતે રોગના જોખમ અથવા ક્લિનિકલ ગંભીરતાને પ્રભાવિત કરે છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:38 am

ભાસ્કર બ્રેકિંગ:છારીઢંઢ રાજ્યની પાંચમી રામસર સાઈટ બનશે, પ્રવાસન પણ વધશે

કચ્છના રણપ્રદેશમાં આવેલું છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર ટૂંક સમયમાં ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઈટ બનવા જઈ રહ્યું છે. છારીઢંઢએ એશિયાના સૌથી મોટા અને દુર્લભ ઘાસના મેદાનો બન્નીનો એક ભાગ છે. ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાતા વિવિધ વિશાળ છીછરા તળાવનું સ્વરૂપ લે છે, જે હજારો યાયાવર પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે. રાજ્યમાં હાલ ચાર રામસર સાઈટ છે. જેમાં નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણાનો સમાવેશ થાય છે. ‘છારી’ એટલે ખારું અને ‘ઢંઢ’ એટલે છીછરા તળાવો. છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર વર્ષ 2008માં વનવિભાગ દ્વારા જાહેર કરાયું હતું. ભુજથી 80 કિલોમીટર દૂર આ વેટલેન્ડ 227 ચો.કી મી ના વિસ્તારમાં સંરક્ષિત છે. વર્ષ 1992માં 22,700 હેક્ટર વિસ્તારને ‘રણ પક્ષી અભયારણ્ય’ જાહેર કરવા પ્રસ્તાવ મુકાયો હતો. 270 પક્ષી પ્રજાતિનું પ્રવાસસ્થાન, કુંજનું બીજું ઘર !છારીઢંઢ પક્ષીઓ અને પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓની આશરે 270 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સ્થળાંતર કરનારા હજારો પક્ષીઓ ઠંડીની ઋતુ ગાળવા આવે છે. આ ઉપરાંત અહીં વરુ, રણ બિલાડી, શિયાળ, લોમડી, હેણોતરો સહીત દુર્લભ પ્રાણીઓ જોવા મળે છે. શિયાળામાં હજારો કુંજ પક્ષી સાયબેરિયાથી અહીં પ્રવાસ ખેડે છે. 40 પ્રકારના વિવિધ ઘાસ અહીં વન્યપ્રાણીઓને ખોરાક અને જીવન પૂરું પાડે છે. શું છે રામસર સાઈટ ? રામસર સાઈટએ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જળપ્લાવિત ભૂમિ (વેટલેન્ડ) છે. જે 1971માં ઈરાનના રામસર શહેરમાં યુનેસ્કો દ્વારા હસ્તાક્ષર કરાયેલા ‘કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ’ જે રામસર સંધિથી ઓળખાય છે તેના અંતર્ગત સંરક્ષણ મળે છે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. નવી સાઈટ જાહેર કરતા પહેલા, આંતરરાષ્ટ્રીય માપદંડોની ચકાસણી, દરખાસ્ત તૈયાર કરવી, કેન્દ્રીય મંજૂરી બાદમાં કેન્દ્ર સરકાર આ અંતિમ દરખાસ્ત સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેન્ડ ખાતે આવેલા રામસર સચિવાલયને મોકલે છે અને અંતમાં વૈશ્વિક જાહેરાત થાય છે. છારીઢંઢને વૈશ્વિક નકશામાં સ્થાન મળશેછારીઢંઢને ટૂંક સમયમાં જ રામસર સાઈટનો દરજ્જો મળશે. છારીઢંઢ જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી ઓળખ મળશે અને વૈજ્ઞાનિક સંસાધનો પણ મળશે. ઇકોટુરીઝમ ડેવલપમેન્ટ કમિટીની રચના કરાશે જેથી ઇકો-ટુરિઝમને વેગ મળશે અને વૈશ્વિક માન્યતા મળતા ‘બર્ડ વોચિંગ’ અને ‘નેચર ફોટોગ્રાફી’માં રસ ધરાવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થશે. કચ્છ માટે આ ઐતિહાસિક નિર્ણય સાબિત થશે” > હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષક-પશ્ચિમ કચ્છ

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:36 am

એમજીવીસીએલનું અંધેર:સેવાલિયામાં નમી ગયેલા વીજ પોલથી સ્થાનિક રહીશોમાં અકસ્માતની ભીતિ

સેવાલિયા જનપથ હોટલ થી હુસેની સોસાયટી જવાના રસ્તા પર એમજીવીસીએલનો વીજપોલ જોખમી રીતે નમેલી હાલતમાં છે. જેમાં 10 જેટલી સોસાયટીના રહીશો અને વાહન ચાલકો બજારમાંથી ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે આ વીજ પોલની કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સેવાલિયા જનપથ હોટલ થી હુસેની સોસાયટી જવાના રસ્તા પર એમજીવીસીએલનો વીજપોલ જોખમી રીતે નમેલી હાલતમાં છે. જ્યાંથી અવિરત વીજળી પસાર થઈ રહી છે. આ રસ્તો સેવાલિયા બજાર અને મુખ્ય માર્ગને જોડતો રસ્તો છે. જેના પરથી 10 જેટલી સોસાયટીના રહીશો અને વાહન ચાલકો બજારમાંથી ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે આ રસ્તા નો ઉપયોગ કરે છે. આ માર્ગ સેવાલિયાનો અવધૂત હોટલથી જનપથ જવાનો જુનો માર્ગ તરીકે ઓળખાય છે. સેવાલિયા એમજીવીસીએલ દ્વારા દર શુક્રવારે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ નમી ગયેલો જોખમી વીજ પોલ તેમને નજરે ચડતો નથી. જેથી પસાર થતા વાહનચાલકો જીવના જોખમે હાલ તો અહીંથી પસાર થઈ રહ્યા છે. એમ જી વી સી એલ ક્યારે જાગે છે અને આ વીજ પોલ ની કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:34 am

સાહસની સાયકલ યાત્રા:લખપત કિલ્લાથી CISFની કોસ્ટલ સાયકલોથોનનો થશે આરંભ

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનની શરુઆત કરાશે. ભારતના પશ્ચિમી છેવાડા કચ્છના લખપત કિલ્લાથી તેની શરૂઆત થશે.CISF સાયકલિસ્ટની બે ટીમો એકસાથે શરૂઆત કરશે. જેમાં પશ્ચિમ કિનારે લખપત કિલ્લાથી જ્યારે પૂર્વ કિનારે બખ્ખાલી, પશ્ચિમ બંગાળથી સાયકલ રેલી નીકળશે. દેશભરના દરિયાકાંઠાના રસ્તાઓ પરથી પસાર થયા પછી બંને ટીમો 22 ફેબ્રુઆરીના કોચી, કેરળ ખાતે એકત્રિત થશે.લખપતથી નીકળનારી ટીમ સુરત, મુંબઈ, ગોવા, મંગલુરુ થઈને પહોંચશે. સાયકલોથોનમાં 130 CISF જવાનો જેમાં 65 મહિલા જવાનોનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય તથા વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હીથી 28 જાન્યુઆરીના વર્ચ્યુઅલ રીતે ‘’’’CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-2026’’’’ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.સાયક્લોથોનનું આયોજન સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે કરવામાં આવી રહ્યું છે અને તે વંદે માતરમનો દેશભક્તિનો સાર ધરાવે છે, જે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને ભારતના દરિયાકિનારાના રક્ષણ માટે સામૂહિક જવાબદારીનું પ્રતીક છે. સાયક્લોથોન 25 દિવસની, 6,553 કિલોમીટરની સાયકલિંગ યાત્રા છે જે દેશમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા સૌથી વ્યાપક દરિયાકાંઠાના સાયકલિંગ અભિયાનોમાંનું એક છે. CISF કોસ્ટલ સાયક્લોથોનનો ઉદ્દેશ્યદરિયાકાંઠાના સમુદાયોને ડ્રગ્સ, હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી જેવા જોખમો વિશે સંવેદનશીલ બનાવવા, દરિયાકાંઠાના સુરક્ષા નેટવર્ક માટે દરિયાકાંઠાના સમુદાયો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરવી.સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો અને સુરક્ષા જવાનો અને તેમના પરિવારોના બલિદાનને સન્માનિત કરવા, માછીમારો દ્વારા આપવામાં આવેલ યોગદાનને હાઈલાઈટ કરવું. 5 દાયકા કરતા વધુ સમયથી CISF પાસે સુરક્ષાની જવાબદારીભારતનો દરિયાકિનારો 250 થી વધુ બંદરોનું ઘર છે, જેમાં 72 EXIM બંદરોનો સમાવેશ થાય છે જે રાષ્ટ્રના લગભગ 95% વેપારને સંભાળે છે. આ બંદરો, દરિયાકાંઠે આવેલી રિફાઇનરીઓ, શિપયાર્ડ્સ અને પરમાણુ ઊર્જા પ્લાન્ટ્સ સાથે, ભારતના આર્થિક વિકાસ અને ઊર્જા સુરક્ષા માટે નિર્ણાયક છે. પાંચ દાયકાથી વધુ સમયથી CISF ને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. કંડલા સહિત 12 મુખ્ય બંદરની સુરક્ષા CISF પાસેભારત સરકારે ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી કોડ હેઠળ બંદર સુરક્ષા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ને માન્યતા પ્રાપ્ત સુરક્ષા સંસ્થા તરીકે નિયુક્ત કરી છે. હાલમાં ગુજરાતમાં એકમાત્ર કંડલા સહિત દેશના 12 મુખ્ય બંદરો તેમજ પોર્ટ બ્લેર ખાતે સીઆઈએસએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવે છે નજીકના ભવિષ્યમાં CISF આશરે 72 બંદરો માટે નવા પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી એસેસમેન્ટ્સ હાથ ધરશે અને પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી પ્લાન્સ તૈયાર કરશે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:33 am

વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે રોકડ પુરસ્કાર અપાયા:સ્પીડોમીટર, ક્વિક ડિલીવરી માટેના સ્ટાર્ટઅપ બન્યા

કચ્છ જિલ્લાની એકમાત્ર સેલ્ફ ફાયનાન્સ SSIP ગ્રાન્ટી કોલેજ એસ.જી.જે.કોડાય ગુરુકુલ દ્વારા સ્ટાર્ટ અપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વન લોકલ પ્રોબ્લમ વન સ્કેલેબલ સોલ્યુશન શીર્ષક હેઠળ યોજાયેલી પ્રતિયોગિતામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવિન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક સમસ્યાઓ માટે વૈશ્વિક સ્તરે ઉપયોગી બની શકે તેવા ઉકેલો વિકસાવવાં માટે પ્રેરણા આપવાનો હતો .સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કચ્છ વિસ્તારની વિવિધ સામાજિક, પર્યાવરણીય, ટેકનોલોજીકલ અને આર્થિક સમસ્યાઓને આધારે પોતાનાં નવિન અને સર્જનાત્મક વિચારો રજૂ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત જ્યૂરી પેનલ દ્વારા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરાયું હતું. સ્માર્ટ સોસાયટી પ્રોજેકટને પ્રથમ સ્થાન જેમાં પ્રીત પોકાર અને વિધા પટેલ, ડિજીટલ સ્પીડોમીટર પ્રોજેકટ તથા આરએફઆઈડી અટેન્ડન્સ સિસ્ટમ પ્રોજેક્ટને સંયુક્ત રીતે દ્વિતીય સ્થાન જેમાં અનુક્રમે હર્ષ પરમાર અને વચ્છરાજ મહેશ્વરી, શબ્બીર બુરહાની અને અલ્ફાઝ ધોબી, કવીક ડિલિવરી-ગ્રોસરી અને મેડિસિન તથા ધ ફ્યુચર ઓફ વેસ્ટ મેનેજમેન્ટને સંયુક્ત રીતે ત્રીજો ક્રમાંક જેમાં અનુક્રમે ક્રિશા સંઘવી, હિમાંશી લુહાર તથા અસ્મા હાલા જેવાં વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સ્પર્ધામાં ધાર્યા કરતાં વધુ એન્ટ્રી આવેલ હોવાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આશ્વાસન ઇનામ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં સ્માર્ટ એન્ટીથેપ્ટ બેગ પ્રોજેક્ટને સ્થાન આપવામાં આવ્યું હતું.ઇવેન્ટમાં સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલનાં અધ્યક્ષ સ્વામી કૃષ્ણજીવનદાસજી દ્વારા આશીર્વાદ પાઠવવવામાં આવ્યાં હતાં.કાર્યક્રમમાં કચ્છ ગુજરાત સ્ટાર્ટ ઇકોસિસ્ટમ નિષ્ણાંત બિનુકુમાર બી.પિલ્લાઈ દ્વારા સ્ટાર્ટ અપની વિવિધતા અને મહત્વ ઉપર માર્ગદર્શન અપાયું હતું. સ્પર્ધામાં ઉદ્યોગ જગત નિષ્ણાંત આશિષ પાટડીયા, કોલેજનાં આચાર્ય સુલ્તાન અહેમદ અન્સારી, એસએસઆઈપી કો-ઓર્ડીનેટર રાહુલ મોતા, વરિષ્ઠ અધ્યાપક ડો.વનિતા રાજાણી અને પ્રા.સુરેશ મહેશ્વરી મંચસ્થ રહ્યાં હતાં,સંચાલન પ્રા.કિશન કે.કટુઆ દ્વારા કરાયું હતું.સ્પર્ધાનાં અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ટીમોને 8000, 5000, 3000 અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતિયને રોકડ પુરસ્કાર અપાયા હતા. વિજેતાનાં વિચારોને ભવિષ્યમાં સ્ટાર્ટ-અપ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન અને સહાય આપવાની ખાતરી આપવામાં આવી હતી. કચ્છની એકમાત્ર SSIP સ્વ-નિર્ભર ગ્રાન્ટી સંસ્થાએસ.જી.જે. ઇન્સ્ટિયૂટ ઓફ મેનેજમેન્ટ આઈ.ટી.ગુરુકુલ કોડાયએ કચ્છ જિલ્લામાં SSIP અંતર્ગત માન્યતા પ્રાપ્ત એકમાત્ર સ્વ-નિર્ભર ગ્રાન્ટી સંસ્થા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Jan 2026 4:31 am