સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અને ગુપ્તતાના નિયમ ભંગનો ભાજપ દ્વારા ગંભીર આક્ષેપ કર્યો છે.જેમાં સિદ્ધપુરમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંતર્ગત ક્ષતિગ્રસ્ત નામો સામે વાંધો ઉઠાવનારા જાગૃત નાગરિકોની ગુપ્ત વિગતો કેટલાક BLO દ્વારા સંવેદનશીલ ડેટા વિરોધી પક્ષકારોને આપી દેવામાં આવ્યો છે, જેના પરિણામે અરજદારોને ફોન પર ધમકીઓ મળી રહી છે.આ ગંભીર મામલે ભાજપના આગેવાનોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ધમકી આપનાર વ્યક્તિઓના મોબાઈલ નંબરોની યાદી સોંપી કાર્યવાહી કરવા માંગ કરી હતી. શહેર અને તાલુકા ભાજપ પ્રમુખો દ્વારા ડેટા લીક કરીને સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવવાનો અને સરકારી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપના અગ્રણીઓએ ગુપ્તતા ભંગ કરનાર જવાબદાર BLO અને ધમકી આપનારા તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી ન્યાયિક તપાસની માંગ કરી છે.આ પ્રસંગે રણજીતસિંહ સોલંકી, શંભુભાઈ દેસાઈ, જશુભાઈ પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉગ્ર વિરોધ:ગોધરામાં રોડની કામગીરીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ, કામ અટકાવ્યું
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ મરામતની કામગીરી હાલ વિવાદના વમળમાં સપડાઈ છે. બિસ્મિલ્લાહ મસ્જિદથી રાણી મસ્જિદ, કિકેરી ચોકડીથી પોલન બજાર અને રેલવે સ્ટેશન રોડ થઈ નીલમ લોજ સુધીના મુખ્ય માર્ગ પર પિચિંગ અને સર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે,મોલાના આઝાદ માર્ગ અને બજાર મોહલ્લાના સ્થાનિકોએ રાણી મસ્જિદ પાસે કામગીરીમાં લેવલિંગના અભાવે વિરોધ પ્રદર્શન કરી કામ અટકાવી દીધું હતું. ગોધરા મોલાના આઝાદ માર્ગ પાસે માર્ગને લઈને વિવાદ વકર્યો છે જેને લઈ ને કામગીરી અટકી પડી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર આવેલી મોટાભાગની દુકાનો ભોંયરામાં આવેલી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. હવે જ્યારે નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જૂના રોડનું ખોદકામ કરીને લેવલિંગ કરવાને બદલે તેના પર જ સીધું નવું સ્તર ચડાવવામાં આવી રહ્યું છે. જેના કારણે રોડની ઊંચાઈ વધતા દુકાનોમાં પાણી ભરાવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં વેપારીઓના ભારે રોષને જોતા આ વિસ્તારની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં કામ ચાલુ છે.વેપારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયમાનુસાર અને યોગ્ય લેવલિંગ સાથે કામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જૂના રોડનું લેવલિંગ કર્યા બાદ જ નવો રોડ બનાવેદુકાનો અને રસ્તા વચ્ચે પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે.રોડની ઊંચાઈ એટલી ન વધવી જોઈએ કે જેથી વરસાદી પાણી સીધું દુકાનોમાં પ્રવેશેછે.અમોને દર વર્ષે દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થાય છે.જો લેવલિંગ વગર રોડ બનશે તો અમારી મુશ્કેલીઓ માં વધારો થશે. સુલતાન સુલેમાન હાજી, સ્થાનિક
એસી, પંખા, ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક:નાની દમણમાં શોર્ટ સર્કિટથી બંધ દુકાનમાં આગથી દોડધામ
નાની દમણ જેટી વિસ્તારમાં ગુરૂવારે એક બંધ દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એસી, પંખા અને ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. નાની દમણ જેટી સ્થિત ઇનફિનિટી કેફેની બાજુમાં આવેલી એક બંધ દુકાનમાં ગુરૂવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ દુકાનમાં લંડનમાં રહેતા એક રહેવાસીનો ઘરનો સામાન સંગ્રહિત કરવામાં આવ્યો હતો. દુકાનની અંદર રાખવામાં આવેલ એસી, પંખા, લાઈટ, ફર્નિચર સહિતનો તમામ સામાન શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આગની જાણ થતા જ ઇનફિનિટી કેફેના માલિકે તરત જ દમણ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ 15થી 20 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ બંબા સાથે ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
પરંપરા:જગતમંદિરમાં આજે વસંત પંચમી મહોત્સવ ઉજવાશે
દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં શુક્રવારે વસંત પંચમી મહોત્સવની પરંપરાગત ઉજવણી કરાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં આજે તા.22 જાન્યુઆરીને શુક્રવાર મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાશે. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાશે. શ્રીજીને મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર યોજાશે તેમજ આંબાનું રોપણ કરાશે. જયારે નિજમંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરાશે. બપોરે 1.30 વાગ્યે ઠાકોરજીને અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાશે. બપોરે 1.30 થી 2.30 સુધી ઉત્સવ દર્શનનો લાભ ભાવિકોને પ્રત્યક્ષ તેમજ વિવિધ ઓનલાઈનના માધ્યમથી થશે. સાંજે ઉત્થાપન બાદનો ક્રમ નિત્યક્રમાનુસાર યોજાશે.
આવેદનપત્ર:ચોક્કસ વિસ્તારો, વર્ગના મતદારોના નામયાદીમાંથી કમી કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા2026ની મતદાર યાદીમાં ચાલતી કામગીરીનો વિરોધ દર્શાવી જુદા જુદા ગંભીર આક્ષેપ કર્યા હતા અને કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવી રજૂઆત કરી આગામી સમયમાં ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું છે કે છેલ્લી ઘડીએ તા. 16.થી 18 જાન્યુઆરી, 2026 દરમિયાન હજારોની સંખ્યામાં ફોર્મ નં. 7 જમા કરાવી ચોક્કસ વિસ્તારો અને ચોક્કસ વર્ગના સાચા મતદારોના નામ યાદીમાંથી કમી કરવાના આક્ષેપ કર્યા હતા. તેમણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને નોંધણી નિયમો, 1960 ની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં રાજકીય દબાણ હેઠળ આ ફોર્મો જથ્થાબંધ સ્વીકારાયા હોવાના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે આ મતદાર યાદીમાં છેડછાડ એટલે લોકશાહીની હત્યા ગણાવી હતી. કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે છેલ્લા દિવસોમાં સ્વીકારાયેલા તમામ ફોર્મ નં. 7ની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સંબંધિત કચેરીઓના CCTV ફૂટેજ ચકાસવામાં આવે, જવાબદાર અધિકારીઓ તથા દોષિત લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તમામ ગેરકાયદેસર વાંધાઓ રદ કરી સાચા મતદારોના નામ યથાવત રાખવામાં આવે તેવી માગણી કરી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને નામદાર કોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર,રાહુલભાઈ, સલીમભાઈ, ખાલકભાઈ, જગતસિંહ ઠાકોર, આશુતોષ રાઠોડ, કાદર અલી સૈયદ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેરા તુજકો અર્પણ અંતર્ગત પોલીસની કામગીરી:શામળાજી પોલીસે ગુમ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત સોંપ્યો
શામળાજી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી અગાઉ ગુમ થયેલ મોબાઈલ ગણતરીના દિવસોમાં શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુમ થયેલ તેમજ ચોરી થયેલ મોબાઇલ સહિતની ચીજ વસ્તુઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે શામળાજી પીઆઇ એસ.એસ. માલએ શામળાજી પોલીસ સ્ટેશનમાં મળેલી અરજદારો દ્વારા કરેલી અરજીઓના અનુસંધાને ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સૂચના આપી હતી. જેના ભાગરૂપે પોલીસે CEIR પોર્ટલની મદદથી તાજેતરમાં ગુમ થયેલા મોબાઈલનું લોકેશન મળતાં અરજદારનો ગુમ થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત સોંપ્યો હતો.
200 વીઘામાં સામૈયા કાર્યક્રમ:ટેકનોલોજી એવી કે પ્રભુના જીવનને નિહાળી નહીં, અનુભવી શકાશે
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રીની 200મી જન્મ જયંતિની ઉજવણી માટે અડાલજ ત્રિમંદિર ખાતે ‘સામૈયુ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શુક્રવારથી કાર્યક્રમનો પ્રારંભ થશે કાર્યક્રમમાં 4.75 લાખ રંગબેરંગી છોડને ઉગાવવામાં આવ્યા છે. પહેલીવાર ઇમ્પેક્ટ, વિડીયો વિઝ્યુઅલ દ્વારા ભગવાને સ્થાપેલી આચાર્ય અને ગાદીઓની કથા પ્રસ્તુત કરાશે. રસોઇ ગેસ ચુલા નહીં પણ લાકડા કોલસા દ્વારા બનશે. સામૈયા ઉત્સવની વિશેષતા
અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં એઆઇ આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર થઇ ગયો છે. આવનારા 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા શરૂ કરાશે. જૂના ટેસ્ટ ટ્રેકમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝ઼્ડ 8 કેમેરા વડે વાહનચાલકનું એલાલિસિસ કરાતું હતું. જ્યારે નવા સિસ્ટમમાં વીડિયો એનાલિટિકલ ટેક્નોલોજીથી 45થી વધુ કેમેરા વડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વાહનચાલકનોડ્રાઇવિંગ ટેસ્ટ લેવાાશે. નવી સિસ્ટમમાં વીડિયો એનાલિટિકલ ટેક્નોલોજી દ્વારા વાહન ચાલકનું એનાલિસિસ કરી વાહનની દરેક મૂવમેન્ટ ટ્રેક કરાશે. વાહન વ્યવહાર વિભાગ નવી એજન્સીને કામ સોંપશે અને મૂલ્યાંકન સહિતની કામગીરી એજન્સી કરશે. નવી ટેક્નોલોજીમાં ઓછા માનવ હસ્તક્ષેપને કારણે આરટીઓના એજન્ટોની ભલામણ સહિતની કામગીરી પણ બ્રેક લાગશે. વીડિયો એનાલિટિકલ ટેક્નોલોજી આ રીતે કામ કરશે સ્ટાન્ડર્ડ ડાયરેક્શન ફોલો થાય છે કે નહીં તેનું ધ્યાન રખાશે ફોર-વ્હીલર લાઇસન્સ ટેસ્ટમાં 57% નાપાસ થાય છેરાજ્યમાં 2024–25 દરમિયાન અંદાજે 7.58 લાખ લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા, જેમાંથી 6 લાખને લાઇસન્સ મળ્યા. તાજેતરના અહેવાલો મુજબ, રાજ્યમાં ફોર-વ્હીલર (LMV) ટેસ્ટમાં નાપાસ થનારા લોકોનું પ્રમાણ ઘણું ઊંચું છે. 57% લોકો કારના ટેસ્ટમાં નાપાસ થાય છે, જ્યારે ટુ-વ્હીલરમાં નાપાસ થનારનું પ્રમાણ આશરે 15% છે.
આયોજન:શહેરની 26 હજાર ચાલીમાં વર્ષો પછી રૂ.3 કરોડના ખર્ચે સ્ટ્રીટલાઈટ નખાશે
શહેરની 26949 ચાલીમાં અત્યાર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે મ્યુનિ.એ 3 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ આપવાનો નિર્ણય કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, આવી ચાલીઓમાં મ્યુનિ.એ પેવર બ્લોક કે આરસીસી રોડ બનાવ્યા છે. ત્યારે આ ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છેકે, આ વિસ્તારોમાં ગટર, પાણી અને રોડ જેવી સુવિધા આપવામાં આવે છે. ત્યારે હવે સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા પણ જનરલ બજેટમાંથી આપવામાં આવશે. તેને કારણે અંદાજે 3 લાખની વસતી હવે સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થશે. LG-SVPમાં 5 માસમાં 219 મહિલાએ મેમોગ્રાફી ટેસ્ટ કરાવ્યોસ્ટેન્ડિંગ કમિટીમાં એક સભ્ય દ્વારા માગેલા ડેટામાં એવી હકીકત બહાર આવી છેકે, એસવીપી અને એલજી હોસ્પિટલમાં મ્યુનિ.એ. વસાવેલા મેમોગ્રાફી મશીનને કારણે છેલ્લા 5 મહિનામાં કુલ 219 મહિલાઓએ ટેસ્ટ કરાવ્યો છે. બ્રેસ્ટ કેન્સરની તપાસ કરતાં મેમોગ્રાફી ટેસ્ટમાં સપ્ટેમ્બરમાં 100 ટેસ્ટ થયા હતા. સપ્ટેમ્બરમાં મેમોગ્રાફી ટેસ્ટ ફ્રીમાં કરાતો હતો. જોકે તે બાદ મ્યુનિ. દ્વારા આ ટેસ્ટ માટે રૂ. 600નો ચાર્જ નક્કી કરાયો હતો. સામાન્ય રીતે ખાનગીમાં આ પ્રકારના ટેસ્ટના રૂ. 2 હજાર ચાર્જ થાય છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં થેયલા ટેસ્ટમાં સૌથી વધારે ટેસ્ટ 167 એલજીમાં થયા છે જ્યારે એસવીપીમાં 52 ટેસ્ટ થયા છે. જે પૈકી 20 જેટલા ટેસ્ટ તો સપ્ટેમ્બરમાં જ્યારે મ્યુનિ. દ્વારા મફત ટેસ્ટ કરવામાં આવતા હતા ત્યારે થયા હતા.
ભારતીય સેના દ્વારા આયોજિત 11મું લેન્ડ યોટીંગ અભિયાન કચ્છના રણના પડકારજનક વિસ્તારોમાં છ દિવસની અવિરત સફર બાદ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.આ અભિયાન સાહસ, એકતા અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય સેનાની સધર્ન કમાન્ડ હેઠળ આયોજિત આ અભિયાનમાં કુલ 21 જવાનોએ ભાગ લીધો હતો.જવાનોએ સતત 6 દિવસ સુધી કચ્છના રણના અત્યંત કઠિન અને દુર્ગમ વિસ્તારોમાં અંદાજે 400 કિમી સુધી લેન્ડ યોટીંગ કર્યું હતું.ધોરડોથી આ અભિયાન શરૂ થયું હતું અને ઈન્ડિયાબ્રીજ, ધર્મશાળા, શક્તિબેટ વગેરે થઈ ધોરડો ખાતે સફર પુર્ણ થઈ હતી. આ યાત્રા દરમિયાન સૈનિકોએ રણની વિષમ પરિસ્થિતિ, પ્રતિકૂળ હવામાન અને અણધાર્યા પડકારોનો સામનો કર્યો હતો. 78મા ભારતીય સેના દિવસ નિમિત્તે આ સાહસિક યાત્રા રાષ્ટ્રને સમર્પિત કરાઈ હતી. આ અભિયાન માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય સેનાના આદર્શ વાક્ય ફર્સ્ટ ઇન બેટલ અને તેમની સહનશક્તિ, શ્રેષ્ઠતા તથા કર્તવ્ય પ્રત્યેની અતૂટ નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.આ સફર ભારતીય સેનાના જવાનોની અદમ્ય સાહસવૃત્તિ અને મુશ્કેલ સંજોગોમાં પણ વિજયી બનવાની ક્ષમતાનું પ્રતીક છે.
રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી નંદાસણ જઈ રહેલા આઇસરને મહેસાણા એલસીબીની ટીમે બી ડિવિઝન પોલીસ મથકની સામે જ રામોસણા ચોકડી ઉપર ઝડપી પોલીસે 57 લાખનો વિદેશી દારૂ અને આઈસર સહિત 72 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ લઈને જઈ રહેલા ચાલકને ઝડપી પાડ્યો હતો. એલસીબીને બાતમી મળી હતી કે જીજે 19 વાય 10 13 નંબરની આઇસરમાં વિદેશી દારૂ ભરી મહેસાણા શહેરમાંથી નંદાસણ તરફ જઈ રહ્યો છે જેને આધારે એલસીબીએ રામોસણા ચોકડી નજીક વોચ ગોઠવીને પસાર થઈ રહેલા આઇસરને ઊભું રખાવી તલાસી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો 57.74 લાખનો વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ લઈ જઈ રહેલા ચાલક સુરેશકુમાર ઉર્ફે સુર્યા હનુમાનારામ જાટ રહે.વાડા નેયા જિ. ઝાલોરની ધરપકડ કરી પૂછપરછ કરતાં દારૂ પુખરાજ બિશનોઈ રહે. મનમોહન હોસ્પિટલની સામે સાંચોર રાજસ્થાન વાળાએ ભરીને સાચોર પલાદર ટોલ ખાતે આપ્યો હતો અને નંદાસણ બ્રિજની નીચે ઉભું રહેવાનું કહ્યું હતું. એલસીબીએ બાતમી આધારે પહેલા ફતેપુરા બાયપાસ સર્કલ ઉપર વોચ ગોઠવી હતી અને ત્યાં દારૂ ભરેલા આઇસરને ઊભું રાખવાનો પ્રયત્ન કરતાં ચાલકે ત્યાં રોકવા ગોઠવેલા બેરિકેટ તોડીને મહેસાણા શહેરમાં ઘૂસ્યો હતો. એલસીબીએ આઇસરની કોર્ડન કરવા બી ડિવિઝન પોલીસને જાણ કરતાં રામોસણા ચોકડી પુલ નીચે બી ડિવિઝન પોલીસે આઇસરને આંતરતાં ચાલક આઇસર ચોકડી પર નીચે મૂકીને રામોસણા ગામ તરફના રોડ ઉપર નાસી છોડતાં પાછળ એલસીબી અને બી ડિવિઝન પોલીસની ટીમ પણ તેને પકડવા દોડી હતી. બીજી તરફ બી ડિવિઝન અને એલસીબીની ટીમે પીછો કરીને ચાલકને ઝડપી પાડ્યો હતો.
ફરિયાદ:અકસ્માતના નુકસાન પેટે રૂ. 2 લાખની ખંડણી માંગી શખ્સોએ કારમાં તોડફોડ કરી
મહેસાણા શહેરમાં સામાન્ય અકસ્માત બાદ નુકસાનીના વળતર તરીકે લાખો રૂપિયાની ગેરકાયદે માંગણી કરી હુમલો કરવાની ઘટના સામે આવી છે. શિલ્પા ગેરેજ નજીક અકસ્માતના સમાધાન માટે બોલાવેલા બોલેરો ચાલક અને તેના સાથી પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને રૂ. 2 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં જયવિજય સોસાયટીમાં રહેતા સાહીલકુમાર શિવાભાઈ ચૌધરીની બોલેરો ગાડી રેલવેમાં ફાળવેલી છે, જે ગિલોસણના બે ડ્રાઈવરો ચલાવે છે. ગત 20 જાન્યુઆરીના રોજ ડ્રાઈવર સાજીદ મિયા બોલેરો લઈને મોઢેરા ચોકડીથી રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે જીજે 38 બી.એફ. 4902 નંબરની કાર સાથે સામાન્ય અકસ્માત થયો હતો. તે સમયે કારમાં સવાર શખ્સોએ નુકસાનીના ખર્ચની માંગણી કરતા સાજીદે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બીજા દિવસે સમાધાન માટે સાજીદ મિયા અને અજરૂદ્દીને કારચાલકોને મહેસાણાના શિલ્પા ગેરેજ પાસે બોલાવ્યા હતા. જોકે, ત્યાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ચાર શખ્સોએ અમારી ગાડીના નુકસાન પેટે રૂ. 2 લાખ આપો તેમ કહી ઉશ્કેરાઈ જઈ અજરૂદ્દીનને ગડદાપાટુનો માર માર્યો હતો. આ શખ્સોએ લોખંડની પાઈપ અને છરા વડે બોલેરો ગાડીના આગળ-પાછળના દરવાજા અને ડેકીના કાચ તોડી નાખ્યા હતા તથા છરીથી ટાયરો પણ ફાડી નાખ્યા હતા. ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ઈન્સાઈડ:મહેસાણામાં હવે પાલતું કૂતરાં અને પશુ નોંધણી ફરજિયાત
સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશોના પગલે સરકારના વખતો વખતના માર્ગદર્શન આવે તેમ તંત્ર પાલતું કૂતરા અને પશુ નોંધણી માટે કવાયતો કરતી આવી છે પણ અમલવારી કોરાણે રહેતી હોય છે. તાજેતરમાં મહેસાણા મહાનગરપાલિકા શહેરમાં પાલતું કૂતરા અને પશુ માલિકો માટેની પોલીસી તૈયાર કરી રહી છે અને આ કામગીરી પૂર્ણતાના આરે હોઇ આગામી 15 દિવસમાં પાલતું કૂતરા અને પશુ નોંધણી ફરજિયાત કરતી આ બંને નવી પોલીસી અમલમાં આવશે તેવું મનપાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુ.કમિશનર એબી મંડોરીએ કહ્યું કે, મનપાની ટીમ ભેંસ વગેરે પશુ રાખવાની જગ્યા અને આસપાસ તપાસ કરશે, જગ્યાના દસ્તાવેજો ચકાસશે અને પશુને ટેગ લગાવીને સેનેટરી ઇન્સ્પેક્ટર પશુ રાખવાની જગ્યા પ્રમાણિત કરી આપશે. જેમાં પોતાની માલિકીની જગ્યા ન હોય છતાં તે જગ્યાએ પશુ રાખેલા હોય તો પશુ જપ્ત કરાશે. આવા પશુને મનપા બહાર અન્યત્ર જગ્યા એ રાખવા પડશે. ઢોર વાડા તરીકે જગ્યા મામલતદાર રજિસ્ટરમાં નોંધાયેલ છે કે નહી તેની તપાસ કરાશે. પશુ રાખ્યા તે જગ્યા ઢોર વાડા તરીકેની મંજૂર જગ્યા હોવી જોઇએ. શહેરમાં જે લોકો પાલતું કૂતરા રાખે છે તેમણે મહાનગરપાલિકામાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે. પાલતું કૂતરા રાખવાની જગ્યા બરોબર છે, વેક્સિનેશન કરવામાં આવેલ છે કે નહીં તેની ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવામાં આવશે. હાલમાં આ પોલીસી તૈયારીના તબક્કે છે અને તેમાં કેટલાક સુધારા વધારા ચાલી રહ્યા હોઇ હવે નવી પોલીસી ટૂ઼ંક સમયમાં અમલમાં આવશે ત્યારપછી પશુ અને પાલતું કૂતરા મનપામાં રજિસ્ટ્રેશન વગર રાખી શકાશે નહી.શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ અને જાહેર સલામતીના પગલારૂપ આ પોલીસી લાગુ કરાયા પછી અમલ થાય તે જરૂરી છે. પાલિકાએ બે વર્ષ પૂર્વે પશુ નોંધણી માટે ફોર્મ છપાવેલ પણ એકેય ન ભરાયું રાજ્ય સરકાર દ્વારા ગત તા. 21 ઓગસ્ટ 2023 ના રોજ રખડતા ઢોર નિયંત્રણ માટે સુચના આપતા મહેસાણા નગરપાલિકાએ અમલવારી કરવા શરૂઆત કરી હતી.33 મુદ્દાઓનું પત્રક બનાવી જાહેરનામું બહાર પાડવાની હતી. જેમાં પશુ નોંધણી માટે ફોર્મ છપાવ્યા હતા પરંતુ ચાર ફોર્મ પશુ માલિક લઇ ગયા હતા અને તેમાં પણ એકેય ભરાઇને નોંધણી માટે પરત આવ્યું નહોતું.પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી ની જેમ કંઇ અમલ ન થયો.હવે મનપાએ આ દિશામાં કવાયત આરંભી છે.
ભાસ્કર ઈન્સાઈડ:મહેસાણાના દીવાનપુરામાં હત્યાના કેસમાં મુખ્ય આરોપીને આજીવન કારાવાસની સજા
રામનવમીની શોભાયાત્રામાં દીકરા સાથે થયેલી ઝઘડાની અદાવતમાં પિતાને રોકી તેને છરો મારીને હત્યા કરવાના કેસમાં મહેસાણાના દીવાનપુરા ગામના મુખ્ય આરોપીને સેશન્સ કોર્ટે ગુરુવારના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતા. મહેસાણા તાલુકાના દીવાનપુરા ગામે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં રણજીતજીના દીકરા ધવલજી સાથે મેહુલજી અશ્વિનજીએ જૂની અદાવતમાં માથાકૂટ કરી હતી અને તે સમયે સમાધાન થયું હતું પરંતુ સાંજના સમયે ધવલજીના પિતા રણજીતજી ઠાકોર પોતાનું બાઈક લઈને જતા હતા તે સમયે તેમને રોકાવી ઠાકોર મેહુલજી અશ્વિનજી, ઠાકોર અશ્વિનજી લીલાજી, ઠાકોર ગોવિંદજી લીલાજી અને ઠાકોર ચેતનજી ગોવિંદજીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે ઠાકોર મેહુલજીએ તેની કમરમાંથી છરો કાઢી રણજીતજીને પેટના ભાગે મારતા તેમનું મોત થયું હતું. કપડા પર મળેલા લોહીના ડાઘથી આરોપ સાબિત થયોમેહુલજીએ ઘટના સમયે પહેરેલ કપડા ઉપર મૃતક રણજીતજીનું લોહી મળી આવ્યું હતું અને તે કપડાં એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા તે લોહી રણજીતજીનું જ હોવાનું તેમજ જે છરાથી હત્યા થઈ હતી. તેના ઉપર પણ રણજીતજીનું લોહી મળી આવતા બંને પુરાવા મેહુલજીને સજા આપવામાં ઠોસ અને મહત્વના સાબિત થયા હતા
ભાસ્કર ઈનસાઈડ:તંત્ર પર ભરોસો મૂકવાને બદલે શ્રમિકોએ ટ્રેક્ટર મંગાવી રસ્તો ચાલવા જેવો કર્યો
સુરેન્દ્રનગરની જીઆઈડીસી કે જે શહેરના આર્થિક વિકાસનું એન્જિન ગણાય છે. ત્યાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બિસ્માર બનેલા રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યાથી કંટાળીને, આખરે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગકારોએ સરકારી તંત્રની રાહ જોવાનું છોડી જાતે જ રસ્તો દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાને વર્ષે 1થી 1.50 કરોડના વેરાની આવક જીઆઇડીસીથી છે જે કુલ વેરાની 20થી 25 ટકા જેટલી રકમ છે. ત્યારે જીઆઇડીસીનો રસ્તો એક વર્ષથી વધુ સમયથી બિસ્માર છે. જેમાં આસપાસ ગટર સાફ ન થતા તેના પાણી ઉભરાઇને બહાર આવી જઇ રહ્યા છે. આ અંગે મનપા અને જીઆઇડીસી તંત્રને રજૂઆત કરવા છતાં યોગ્ય થયો ન હતો. આથી જાતે રિપેર કરવાનો વારો આવ્યો હતો. આ અંગે રિપેર કરનાર કારીગરે જણાવ્યું કે પારકી આસ સદા નિરાશ એના કરતા કારખાને આવતા કારીગરો અને સ્થાનિકોએ સ્વખર્ચે 2000 ખર્ચી ટ્રેકટ્રર મંગાવી મોરમ પાથરી રસ્તો ચાલવા યોગ્ય કરવો પડ્યો છે. GIDC, મનપાની એક બીજાને ખોજીઆઇડીસીનો રસ્તો રિપેર કરનારે જણાવ્યું એક વર્ષ જેટલા સમયથી બિસ્માર રસ્તા અંગે પાલિકા તંત્ર અને જીઆઇડીસી તંત્રને રજૂઆતો કરી હતી. જેમાં જીઆઇડીસી તંત્ર કહે પાલિકામાં આવી અને પાલિકા કહે જીઆઇડીસીમાં આવે. આમ એકબીજાના ખો આપતા કારીગરો વાહન ચાલકો રાહદારીઓની ખો નીકળી રહી છે.
રોગચાળાનો ભય:ગટર ઉભરાણી, મહિલાઓ મૂંઝાણી
વઢવાણમાં નવાદરવાજા બહાર શેરી નં. 6માં ગટર ઉભરાવાની સમસ્યા અત્યંત ગંભીર બની રહી છે. જેના કારણે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકોના સ્વાસ્થ્ય અને રોજિંદા જીવન પર માઠી અસર પડી રહી છે. વઢવાણના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યાને લઇને ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે વઢવાણ નવા દરવાજા બહાર શેરી નં. 6ના વિસ્તારમા શેરીઓમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો આવેલા છે. આ વિસ્તારમાં વારંવાર ગટરો બ્લોક થવાની સાથે ગંદા પાણી ઉભરાઇ રહ્યા છે. ત્યારે ગુરૂવારે પાણીના વારે જ ગટરના પાણી રસ્તા પર ફરી વળતા સતત દુર્ગંધ ફેલાય હતી. જેના કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતુ. ઉભરાતી ગટરને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચામડીના રોગો ફેલાવાનો ભય રહે છે. ઘરકામ માટે બહાર નીકળતી વખતે કે બાળકોને શાળાએ મોકલતી વખતે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જે મહિલાઓ માટે શારીરિક અને માનસિક રીતે ત્રાસદાયક છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. આથી સ્થાનિક મહિલાઓ અને રહીશોની માંગ છે કે ગટરની લાઈનોનું તાત્કાલિક સફાઈ કામ કરવામાં આવે. જ્યાં પાઈપલાઈન નાની પડે છે ત્યાં મોટી લાઈનો નાખવામાં આવે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ડ્રેનેજ સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવે. કારણ કે જો આ સમસ્યા લાંબો સમય ચાલુ રહેશે તો રોગચાળાને આમંત્રણ આપી શકે છે. સ્થાનિક તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે પગલાં ભરવા લોકોએ માંગ કરી હતી. રહીશોને જાતે ગટરના પાણીનો નિકાલ કરવાનો વારો આવ્યોવારંવાર ગટરના પાણી રસ્તા પર અને ઘટની આગળ જમા થતા મહિલાઓ સહિતના લોકો પરેશાન બન્યા હતા. ત્યારે ગુરૂવારે પણ આ જ સ્થિતિ સર્જાતા વિસ્તારની મહિલાઓ, યુવાનો સહિતના રહિશો શેરીઓમાં જમા થયેલા ગટરના ગંદા પાણી દૂર કરવાની કામગીરી કરી હતી. 1 કલાક બાદ પણ આ ગટરના પાણી બંધ થયા ન હતા. આથી લોકોમાં રોષ પણ ફેલાયો હતો.
થાનગઢ થાનગઢ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર વહીવટી તંત્રએ મધરાતે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 21 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડ થી વધુની બજાર કિંમત ધરાવતી 52 વીઘા જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. લગભગ 20 કલાક સુધી દબાણ હટા વાની કામગીરી ચાલુ રહી હતી. નાયબ કલેક્ટર - ચોટીલા એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન પાર પાડ્યું હતું. સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તા પર આવેલા સર્વે નંબર 79, 81, 89 અને 349 પર વર્ષોથી પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ 260 જેટલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં 231 કોમર્શિયલ દુકાનો (જેનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે થતો હતો), 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં ગેરકાયદે રીતે બનાવવામાં આવેલી આશાપુરા હોસ્પિટલ, સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા 17 રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2025માં નોટિસ આપવા છતાં દબાણ ન હટાવનારા તત્વો સામે આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલા અધિકારીની કાર્યવાહી બાદ લોકોમાં સવાલો ઉઠ્યા છે કે 20 વર્ષ થી દબાણો હતા. થાન નગરપાલીકાએ માપણી કરી દૂર કરવા જોઇતા હતા, તેમણે કઇ ના કર્યું માટે જવાબદાર અધિકારી અને પાલિકાના પદાધિકારીઓની જવાબદારી ફિક્સ થવી જોઇએ. દબાણકર્તાના નામો જાહેર કરાયા1. ભરતભાઈ અનકભાઇ કરપડા,2. કુલદીપભાઈ ભરતભાઈ કરપડા,3. કાનભા છેલભાઈ ભગત ,4. આલકુભાઇ કાથડભાઇ ભગત,5. ચાપરાજભાઈ વસ્તુભાઈ જળુ,6. અનકભાઈ દાદભાઈ ખાચર ,7. ડો. મેરૂભાઈ વેલાભાઈ કુમારખાણિયા ,8. પ્રદ્યુમનસિંહ એચ ચુડાસમા ,9. ભાભલુભાઈ અનકભાઈ જળુ,10. વિપુલભાઈ પરસોત્તમભાઈ ,11. ભગાભાઈ ભાવાજીભાઈ,12. ઉમેદભાઈ એભલભાઈ ધાધલ ,13. કૃણાલભાઈ હરેશભાઈ કડીવાળા 14. જીતેન્દ્રભાઈ વાઘાભાઈ રંગપરા , 15. નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર ,16. વિજયભાઈ છગનભાઈ સારદિયા ,17. ખોડાભાઈ ઠાકરશીભાઈ મેણીયા,18. કિરણભાઈ અનિલભાઈ મૂળિયા ,19. રાજેન્દ્રભાઈ દેવાયતભાઈ જળુ,20. શિવમ સીરામીક ,21. સામતભાઈ પોલાભાઈ ,22. રાજુભાઈ ભગત,23. યોગેશભાઈ ભવનભાઈ સવાડીયા,24. મંગળુભાઈ બાબભાઈ ખાચર,25. શાંતુભાઇ દેવાતભાઈ જળું,26. ધનજીભાઈ અરજણભાઈ રંગપરા ,27. રમેશભાઈ વામાભાઈ વનાળીયા ભૂમાફિયા જમીન પર દબાણો કરીવેપારીઓ પાસેથી ભાડું ઉઘરાવતાખૂલ્લી કરાયેલી 52 વીઘા જમીનની હાલની બજાર કિંમત 210 કરોડ જેટલી થાય છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ તુરંત જ આ જમીન પર તાર ફેન્સિંગ કરી તેને સરકારી અસ્કયામત તરીકે સુરક્ષિત કરવામાં આવશે. તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આ સરકારી જમીન પર દબાણ કરનારા માથાભારે તત્વો અન્ય વેપારીઓ પાસેથી માસિક ભાડું પણ ઉઘરાવતા હતા. આવા ઇસમોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. { એચ.ટી.મકવાણા, પ્રાંત અધિકારી, ચોટીલા
ભાસ્કર ખાસ:પોરબંદરના વિદ્યાર્થીએ સંશોધન કરેલ AI રોબોટિક આર્મના પેટન્ટને ભારત સરકારની મંજૂરી મળી
મૂળ પોરબંદરના અને હાલ મોડાસા ખાતે અભ્યાસ કરતા એક યુવા વિદ્યાર્થીએ સંશોધન કરેલ AI આધારિત રોબોટિક આર્મના પેટન્ટને ભારત સરકારે મંજૂરી આપી છે.આ યુવાને સંશોધન કરેલ ટેકનોલોજીથી મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઑટોમેશન તથા સ્માર્ટ પ્રોડક્શન સિસ્ટમ્સમાં કાર્યક્ષમતા ઝડપ બનશે. પોરબંદર જિલ્લાના યુવાન વિદ્યાર્થી ભુષણ ભરતકુમાર જોશીએ ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સ્થિત ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મોડાસા ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમના દ્વારા વિકસાવવામાં આવેલા “AI Based Robotics Arm for Precision Engineering Works” શીર્ષક હેઠળના સંશોધનને ભારત સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ પેટન્ટ એ. આઈ. (Artificial Intelligence) અને રોબોટિક્સ ટેકનોલોજી પર આધારિત છે.આ યુવાને સંશોધન કરેલ પેટન્ટને ભારત સરકારે મંજૂરી આપી છે.એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી તરીકે માત્ર 20 વર્ષની ઉંમરે આવી સિદ્ધિ હાંસલ કરતા પોરબંદર જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે અને તે રાજ્ય તેમજ દેશના યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઑટોમેશન પ્રોડક્શન સિસ્ટમ્સમાં કાર્યક્ષમતા વધારો થશેઆ ટેકનોલોજીથી ઉંચાઈની ચોકસાઈ આવશ્યક હોય તેવા એન્જિનિયરિંગ કાર્યોને સ્માર્ટ રીતે ઓટોમેટ કરવા માટે રોબોટિક આર્મ વિકસાવવામાં આવ્યો છે. આ ટેકનોલોજી પ્રિસિઝન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઑટોમેશન તથા સ્માર્ટ પ્રોડક્શન સિસ્ટમ્સમાં કાર્યક્ષમતા, ઝડપ અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરવાની ક્ષમતા ધરાવે છે.
વાતાવરણ:3 દિ’માં સવારનું તાપમાન 3.4, બપોરે 2.5 ડિગ્રી વધ્યું
છેલ્લા 24 કલાક દરમિયાન સવાર અને બપોરના તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જેના પરિણામે લોકોએ આંશિક રાહત અનુભવી હતી. ગત મંગળવારથી તાપમાનમાં શરૂ થયેલો વધારો ગુરુવારે પણ યથાવત રહ્યો હતો. મંગળવારે લઘુતમ તાપમાન 10.5, બુધવારે 12 ડિગ્રી નોંધાયા બાદ ગુરુવારે વધીને 13.9 ડિગ્રી થઈ જતા ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. જૂનાગઢ ખાતે 24 કલાકમાં 1.9 ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ગિરનાર પર્વત પર પણ સવારનું તાપમાન 1.9 ડિગ્રી વધતા 8.9 ડિગ્રી નોંધાયું હતું. સવારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 82 ટકાએ પહોંચી જતા ધુમ્મસ છવાઈ ગયુ હતું. બીજી તરફ સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ 4.8 કિલોમીટરની રહેતા મહત્તમ તાપમાન બુધવારની સરખામણીએ વધી 30 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને બપોરને હવામાં ભેજનું પ્રમાણ પણ વધીને 39 ટકા રહ્યું હતું.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ પડોશી ધર્મ નિભાવવામાં એક્સપર્ટ છે. સામાન્ય જનતા માટે જે નિયમ ગુનો છે તે નેતાઓ માટે સુવિધા બની ગઈ છે. જૂનાગઢ મનપા માં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભલે ગમે તેટલા વાકયુદ્ધ થતા હોય, પણ જ્યારે વાત પોતાના બંગલામાં ભરાતા વરસાદી પાણીની આવી ત્યારે મેયર ધર્મેશ પોસિયા અને વિપક્ષી નેતા લલિત પરસાણા એક દૂજે કે લિયે સાબિત થયા છે. વર્ષોથી બાજુ-બાજુમાં રહેતા આ બંને દિગ્ગજ નેતાઓએ પોતાના ઘરને જળબંબાકારથી બચાવવા માટે આખું તંત્ર કામે લગાડી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નિયમ મુજબ, વરસાદી પાણીને ક્યારેય ભૂગર્ભ ગટરમાં ભેળવી શકાતું નથી, કારણ કે તેનાથી ગટર લાઇન ચોકઅપ થઈ જાય છે અને બેક મારે છે. પરંતુ અહીં તો ગંગા ઉંધી વહી રહી છે. બંને નેતાઓના બંગલામાં પાણી ન ઘૂસે તે માટે એવી 'ખાસ' વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે વરસાદી પાણી સીધું જ ભૂગર્ભ ગટરમાં ઉતારી દેવામાં આવે છે. સામાન્ય નાગરિક જો આવું કરે તો મનપા દંડ ફટકારે, પણ અહીં તો ખુદ 'નાથ' જ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. શહેરમાં જ્યારે સામાન્ય વરસાદ પડે ત્યારે અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાતી હોય છે, પણ મેયર અને વિપક્ષી નેતાના નિવાસસ્થાન પાસે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મનપાના એન્જિનિયરો પર દબાણ લાવીને એવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કે આસપાસનું તમામ પાણી ગટરના માધ્યમથી નિકાલ પામે છે. ચૂંટણીમાં ભલે આ બંને નેતાઓ એકબીજા સામે તલવારો ખેંચતા હોય, પણ ગટરના મામલે બંને વચ્ચે અદભૂત 'ટ્યુનિંગ' છે. જ્યારે સામાન્ય જનતાના ઘરોમાં ગટરના પાણી બેક મારતા હોય ત્યારે નેતાઓના બંગલાને બચાવવા માટે થઈ રહેલી આ ગોઠવણ જૂનાગઢના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. શું મહાનગરપાલિકાના કાયદા માત્ર સામાન્ય જનતા માટે જ છે? એવો સવાલ હવે કરદાતાઓ પૂછી રહ્યા છે. વરસાદી પાણી માટે નહીં, એ લોકો પાણી ઢોળે એના માટે છે એ વરસાદી પાણીના નિકાલ માટે નો રસ્તો નથી પરંતુ લોકો અહીં પાણી ઢોળતા હોવાથી કંટાળીને બનાવવુ પડ્યું છે. જે પાણી ઢોળે છે એમને દંડ પણ કર્યો હતો . પણ બાજુમાં રહેવાનું હોવાથી મગજમારી કોણ કરે? >ધર્મેશ પોશીયા, મેયર મેયરના ઘર પાસે પાણી ન જાય માટે વ્યવસ્થા કરાઇ મેયર ના ઘર પાસે પાણી ન જાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. આનો વિરોધ પણ અમે મૌખિક કર્યો હતો. વરસાદનું પાણી ભૂગર્ભમાં જતું હોય ગટરો ચોક થઈ જાય છે. પાડોશમાં રહેવાનું હોવાથી રજૂઆત કરતા નથી. > લલિત પરસાણા,વિપક્ષી નેતા
છેતરપિંડી:ઓનલાઈન કાર ખરીદીમાં યુવકે 2.10 લાખ ગુમાવ્યા
જામનગર શહેરના એક આસામીએ ઓનલાઈન જાહેરાત પરથી કાર ખરીદવા માટે રૂ.2.10 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા બાદ, અમદાવાદની મહિલાએ કાર કે, રૂપિયા ન આપીને છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી ગરીબ નવાઝ સોસાયટી-2ની શેરી નં.5માં રહેતા મહંમદઈકબાલ દોસમામદભાઇ સમા (ઉ.વ.36) નામના આસામી ઓટો કન્સલટન્ટ તરીકે કામ કરે છે. તેઓએ ગયા ડિસેમ્બર મહિનામાં સોશિયલ મીડિયામાં વાહન લે-વેંચની એક એપ જોઈ હતી જેમાં તેઓએ મારૂતી સૂઝુકી કંપનીની બ્રીઝા મોટર વેચવાની છે તેવી જાહેરાત વાચી હતી. તે જાહેરાત અન્વયે રસ પડતા મહંમદઈકબાલે એપ્લીકેશનના માધ્યમથી તે મોટરના માલિક બિનીતાબેન પટેલનો સંપર્ક કર્યો હતો અને બંને વચ્ચે રૂ।.5.10 કારનો સોદો થયો હતો. ત્યારપછી વાતચીત મુજબ મહંમદઈકબાલે રૂ।.90 હજાર બિનીતાબેનના કહેવાથી ઓનલાઈન ટ્રાન્સફર કરવા ઉપરાંત રૂ।.1.20 લાખ ખાનગી બેંકના ખાતામાં જમા કરાવ્યા હતા. તે પછી પણ બિનીતાબેને ગઈ તા.11 ડિસેમ્બરથી આજ સુધી આ ગાડી સોંપી ન હતી અને રૂપિયા પણ આપ્યા ન હતા. જેથી આસામીએ જામનગરમાં અમદાવાદની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ:દરેડ-નાના વાગુદડની બે સગીરાના અપહરણ
દરેડ અને નાના વાગુદડ ગામમાંથી બે સગીરાને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવાઈ છે. જામનગર તાલુકાના દરેડમાં રહેતી એક સગીરાને સિક્કા પાટીયા પાસે રહેતો જીલુ મનજીભા માથાસુરીયા નામનો શખસ બદકામ કરવાના ઈરાદે, લગ્નની લાલચ આપીને ખરાબ કામ કરવાના ઈરાદાથી શહેરના માધવ બાગ-4ની બાજુમાં બોલાવીને અપહરણ કરી ગયો હતો. જે અંગેની સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના નાનાવાગુદડ ગામે રહી ખેતમજૂરી કરતાં પરિવારની સગીરાનું પણ લગ્નની લાલચે મધ્યપ્રદેશનો વતની રાકેશ રાજુભાઇ ભારૂ નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો. જે મામલે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
છેતરપિંડી:બહુ ચિંતામાં છો, દીકરો બીમાર રહે છે, બધુ સારૂ થઈ જશે કહી ગઠિયાઓએ 3 પરિવારના દાગીના પડાવ્યા
અમરેલી જિલ્લામાં દુખિયારા પરિવારને ગોતી તેમના પરિવારની ચિંતા થતા બિમારી દૂર કરવાની લાલચ આપી તાંત્રીક વિધી કરવાના બહાને દાગીના ઓળવી લેતી ગેંગે જુદા જુદા ત્રણ પરિવારોને નીચાન બનાવ્યા છે. જેને પગલે આ બારામાં આજે જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઠગ ગેંગ પરિવારના દાગીના કપડામાં મુકાવી ગુમ કરી દેતા હતા. છેતરપીંડીની આવી પ્રથમ ઘટના બગસરા તાલુકાના પીઠડીયા ગામે બની હતી. અહીં મેઘાપરા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ.65) નામના વૃદ્ધ ઠગાઈનો શિકાર બન્યા હતા. તેઓ બપોરના સમયે પોતાના ઘરે હતા. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો મોટરસાયકલ લઈ તેમના ઘરે આવ્યા હતા અને પીવાનું પાણી માંગ્યું હતું અને બાદમાં તમે બહુ ચિંતામાં છો તમને દુ:ખ દર્દ છે. પરંતુ બધુ સારૂ થઈ જશે. તેમ કહી તાંત્રિક વીધી કરવાનું કહ્યું હતું. તેમની વાતમાં આવી અરવિંદભાઈ પીપળીયા તાંત્રિક વીધી કરાવવા તૈયાર થયા હતા. જેથી ગઠીયાઓએ તેમના પત્નિએ કાનમાં પહેરેલી 6 ગ્રામ વજનની સોનાની બે બુટી એક કપડામાં મુકાવી હતી અને વીધી કરવાના બહાને સોની બંને બુટી ગુમ કરી છેતરપીંડી કરી હતી. આવી એક ઘટના વડીયા તાલુકાના અરજણસુખ ગામે બની હતી. જ્યા શોભનાબેન અરવિંદભાઈ વસોયા (ઉ.વ.52) નામના વૃદ્ધ વાડીએ કામ કરતા હતા. ત્યારે બાઈક પર જઈ બે શખ્સોએ પીવાનું પાણી માંગ્યું હતું અને તમે બહુ ચિંતામાં છો દિકરો બીમાર રહે છે. પણ સારા વાના થઈ જશે. તેમ કહી તાંત્રિક વીધીના બહાને સોનાની 12 ગ્રામ વજનની બે કડી એક કપડામાં મુકાવી ગુમ કરી દીધી હતી. જ્યારે અંતિમ ઘટનામાં વડીયા તાલુકાના જુના બાદલપુર ગામના જયંતિભાઈ ભીમજીભાઈ રૈયાણી(ઉ.વ.67) નામના વૃદ્ધ ઘરે એકલા હતા. ત્યારે બે શખ્સોએ ત્યા આવી તમારો દિકરો બીમાર રહે છે. બધા સારાવાના થઈ જશે. તેમ કહી વીધી કરવાના બહાને તેમની પત્નિની 7 ગ્રામ વજનની સોનાની બે બુટી વીધીના બહાને એક કપડામાં મુકાવી ગુમ કરી દીધી હતી. આ ત્રણેય ઘટના અંગે વડીયા અને બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય સ્થળે ગઠિયાઓએ એક જ મોટરસાયકલનો ઉપયોગ ગઠીયાઓ દરેક સ્થળે મોટરસાયકલ લઈને જતા હતા. ત્રણેય સ્થળે 75670, 43219 નંબરના મોટર સાયકલ પર જઈ સૌ પ્રથમ પીવાનું પાણી માંગતા હતા અને બાદમાં પોતાની વાતોમાં ભોળવતા હતા. પરિવારની ચિંતા અને બીમારી દુર કરવાના બહાને ભોળવ્યા ગઠીયાઓએ એવા પરિવારને પસંદ કર્યા હતા. જેના પરિવારમાં કોઈને કોઈ બીમારી રહેતી હોય અને પરિવાર ચિંતામાં રહેતો હોય ચિંતા અને બીમારી દુર કરવાના બહાને ત્રણેય પરિવારને શીશામાં ઉતાર્યા હતા.
જિલ્લામાં વાદળછાયું વાતાવરણ:ખેડૂતો ચિંતત ન્યુનતમ પારો 14.6 ડિગ્રીએ પહોંચતા ઠંડી ઘટી
અમરેલી જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાભરમાં આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાથે સાથે અમરેલીમાં આજે લાંબા દિવસો બાદ ન્યુનત્તમ તાપમાનનો પારો 14.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં 21 થી 25 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ ક્યાંક ક્યાંક કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. ત્યારે આજે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. તેમજ આજે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાનનો પારો લાંબા દિવસો બાદ ફરી 14 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આજે શહેરમાં ન્યુનત્તમ તાપમાન 14.6 ડિગ્રી રહ્યું હતું. જેના કારણે ઠંડી ઘટી હતી. આ ઉપરાંત અમરેલીમાં મહત્તમ તાપમાનનો પારો 31.6 ડિગ્રી રહ્યો હતો. તેમજ હવામા ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સામાન્ય રહી હતી. અમરેલીમાં આજે ભેજનું પ્રમાણ વધારે રહ્યું હતું. તેમજ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. આંબામાં નુકસાનનો ભય અમરેલી જિલ્લામાં આંબા પાકમાં મોર આવવાના તબક્કે વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધારણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ ઘટી શકે છે.
ફરિયાદ:મોટા જીંજુડામાં શાળાએ અભ્યાસ અર્થે જતી સગીરાના શખ્સે અડપલા કર્યા
સાવરકુંડલાના મોટા જીંજુડામાં શાળાએ અભ્યાસ અર્થે જતી સગીરાનો એક શખ્સે પીછો કરી અડપલા કર્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા છાત્રાએ હાથની કલાઈ પર બ્લેડ મારી દીધી હતી. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વિદ્યાર્થીનીના પરિવારે મોટા જીંજુડાના રાહુલ પરષોત્તમભાઈ કાલેણા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સગીરા પીઠવડી ખાતે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જતી હતી. તે સમયે રાહુલ કાલેણાએ તેની સાથે વાતચીત કરી હતી. છ માસ પૂર્વે સગીરાએ તેને વાતચીત કરવાની ના પાડતા રાહુલે સગીરાનો પીછો કર્યો હતો. તેમજ શરીરે અડપલા કર્યા હતા. તેમજ રાહુલ કાલેણાએ તેના મોબાઈલમાં સગીરાના ફોટા પાડી લીધા હતા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. શારિરીક અને માનસીક ત્રાસના કારણે સગીરાએ અંતે હાથની કલાઈ ઉપર બ્લેડ મારી દીધી હતી. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાતા ડીવાયએસપી નયનાબેન ગોરડીયા વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે.
હાશકારો:જાફરાબાદના પીપળીકાંઠામાં 10 લાખ લીટર ટેન્કનું કામ પૂર્ણ થતા પાણીનો પ્રશ્ન કાયમી હલ
જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત રાજયનું સૌથી મોટું બોમ્બે ડકનું બંદર આવેલ છે. જયાં ખારવા સમાજના લોકો વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. તેમને પીવાના પાણીનો પ્રશ્ન ઘણા સમયથી મુશ્કેલ બની ગયેલ છે જે ઘ્યાનમાં લઈ હિરાભાઈ સોલંકી તેમજ ભગુભાઈ સોલંકી દવારા નગરપાલીકાની ટર્મ પૂર્ણ થતા જ વહિવટદાર તરીકેની મામલતદારની નિમણૂંક દરમિયાન પીપળીકાંઠા વિસ્તારમાં કાયમી પાણીનો પ્રશ્ન નિરાકરણ થાય તે અર્થે 1.25 કરોડના ખર્ચે 10 લાખ લિટરનો પાણી સંગ્રહ થઈ શકે તે માટે પાણીનો ટાકો મંજૂર કરાવેલ જેનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. નગરપાલીકાની ચૂંટણી બાદ જાફરાબાદ નગરપાલીકા પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ચેરમેન કનૈયાલાલ સોલંકી, શાસકપક્ષ નેતા બાલકૃષ્ણ સોલંકી, સુરેશભાઈ સોલંકી ,ભરતભાઈ બારૈયા, ધર્મેશભાઈ સોલંકી, રાજેશભાઈ ભાલીયા, ગીતાબેન બારૈયા, સરસ્વતીબેન બારૈયા, હેતલબેન બારૈયા, મિતલબેન બારૈયા, દેવીબેન સોલંકી, મીનાબેન બારૈયા દ્વારા જેમ બને તેમ પીપળીકાંઠા વિસ્તારમાં લોકોને જલ્દીમાં—જલ્દી પાણી વિતરણ કરવા પ્રયાસ શરૂ કરાયા છે. સરકારની સ્વર્ણમ જયંતી – મુખ્યમંત્રી શહેર વિકાસ યોજનામાંથી એક કરોડના ખર્ચે પાઈપ લાઈનનું કામ મંજુર કરાવેલ છે. જેમના ભાગ રૂપે ડિ.આઈ. પાઈપ પણ પીપળીકાંઠા વિસ્તારમાં આવી ગયેલ છે.જેમને ટૂંક સમયમાં જાફરાબાદ નગરપાલીકા દવારા પીપળીકાંઠા વિસ્તારમા જે લાંબા સમયથી પાણીનો પ્રશ્ન છે તેનું તાત્કાલીક નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવશે.
અભૂતપૂર્વ પ્રદર્શન:રાજ્યકક્ષાની ચક્રફેંક સ્પર્ધામાં હિન્દી માધ્યમ શાળાનો દબદબો
તાજેતરમાં નડિયાદ ખાતે ચાલી રહેલી ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભુજ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા આરટીઓ હિન્દી માધ્યમ શાળા નંબર 14 ના ધોરણ 8 ના બે વિદ્યાર્થીઓએ ચક્રફેંકમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરતા સમગ્ર શૈક્ષણિક જગતમાં તેમજ સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરના અનેક જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કઠોર સ્પર્ધા વચ્ચે આ શાળાના કાદરી સનાબિનએ અન્ડર 14 (બોયઝ)માં 32.94 મીટર દૂર ચક્ર ફેંકીને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.જ્યારે આ જ શાળાની વિદ્યાર્થીની શેખ જ્યોતિએ અન્ડર 14 (ગર્લ્સ)માં 22.10 મીટર દૂર ચક્ર ફેકીને રાજ્યકક્ષાએ તૃતીય ક્રમ હાંસિલ કર્યો છે.આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિમતા, મહેનત, એકાગ્રતા, સમય સંચાલન અને શિસ્તબદ્ધ અભ્યાસનો પરિચય આપ્યો છે. ખાનગી શાળાઓની સરખામણીમાં મર્યાદિત સુવિધાઓ વચ્ચે સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરવા માટે શાળાના આચાર્ય ઉન્નતિબેન ઠક્કરે બાળકોને સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમનું દૂરંદેશી નેતૃત્વ, સમર્પણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રતિબધ્ધતા આ સફળતામાં પ્રતિબિંબિત થાય છે.વિદ્યાર્થીઓની આ નોંધપાત્ર સિદ્ધિ માટે શાળાના ખેલ સહાયક શિક્ષક જીનેશભાઈ પિંડોરીયાનું સતત માર્ગદર્શન તેમની અવિરત મહેનત તેમજ યોગ્ય દિશા સૂચન મુખ્ય કારણ રહ્યા છે. શાળા પરિવાર વાલીઓ તેમજ શિક્ષણ જગતમાંથી વિદ્યાર્થીઓને આશીર્વાદ અને અભિનંદન મળી રહ્યા છે.શાળા સંચાલન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આ સફળતા અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે અને રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ શૈક્ષણિક પ્રતિભાને નવી દિશા આપશે અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા રમતગમત કચેરી દ્વારા નિયુક્ત ટીમ મેનેજર આર્મી પબ્લિક સ્કૂલના અભ્યાસ શિક્ષક વંદનાબેન ભુડીયાનો સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.
અમદાવાદના સીજી રોડ અને લો ગાર્ડન આસપાસના વિસ્તારમાં રૂ. 100 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પ્રિસિકંટ એરિયાના રોડ ડેવલોપમેન્ટમાં રોડ ડિઝાઇનમાં ખામીના પગલે આ વિસ્તારના 6 રોડની કામગીરી બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડની પહોળાઈ મુજબ ફૂટપાથની ડિઝાઈન રાખવા માટે પોલિસી તૈયાર કરવા અધિકારીઓને સૂચના ભાજપના ચેરમેન દ્વારા આપવામાં આવી છે. બુધવારે ભાજપના ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી દ્વારા મીઠાખળીથી સીજી રોડ તરફ જતાં રોડ પર 18 મીટરના રોડને 9 મીટર થઈ જાય એવી ખામી જોતાં કામગીરી બંધ કરવાની સૂચના આપી છે તેમજ તપાસ કરવા આદેશ આપ્યા હતા. રોડ ડેવલોપમેન્ટના 6 રોડના કામો બંધ કરવામાં આવ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજેનરોના અણઘડ આયોજન અને અમલને હવે આ વિસ્તારના રોડ ડેવલોપમેન્ટના 6 રોડના કામો બંધ કરાયા છે. આ મામલે તપાસ કરીને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સરળતા માટે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે વધુ પહોળાઈ ધરાવતા રોડ બનાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી હતીવાહનચાલકોની સગવડતા માટે રોડ સાઈડમાં વાહન પાર્કિંગની જગ્યા પૂરી પાડવાની સાથે સાથે નાગરિકોને અવરજવર કરવા માટે ફૂટપાથ તૈયાર કરવામાં આવે છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં 24 અને 18 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા રોડની પહોળાઈ મુજબ જ ફૂટપાથ બનાવવા, વાહન પાર્કિંગની જગ્યા ફળવવા સહિતની સુવિધા માટે પોલિસી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે અને હવે રોડની પહોળાઈ મુજબની ફૂટપાથ સાથેના રોડ તૈયાર કરવામાં આવશે. રોડ ડિઝાઈનમાં ખામી જણાતા પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાઅમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ ડિઝાઇનમાં ખામી જોવા મળતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા. ભાજપના સત્તાધીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 18 મીટરના રોડને ફૂટપાથ અને પાર્કિંગ વગેરે કરી 9 મીટર જેટલો રોડ બની જાય અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે એવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા ત્યાંના રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી હતી. મીઠાખળી છ રસ્તાથી સીજી રોડ તરફ જવાનો રોડ નાનો થઈ ગયો મીઠાખળી છ રસ્તાથી સીજી રોડ તરફ જવાનો 18 મીટરનો રોડ આવેલો છે. જેમાં ત્રણ મીટરની ફૂટપાથ ત્યારબાદ ગટરની ડક અને 2.5 મીટરની ફૂટપાથ બનાવતા રોડ ખૂબ નાનો થઈ ગયો છે. કોન્ટ્રાક્ટર અને પીએમસી તેમજ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલી આ સમગ્ર ડિઝાઇનને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે. તાત્કાલિક ધોરણે ત્યાંના રોડ બનાવવાની કામગીરી બંધ કરાવવામાં આવી હતી. રોડની અણઘડ કામગીરીને લીધે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી મેયર જતીન પટેલની સાથે સીજી રોડ નજીક આવેલા ગીરીશ કોલ્ડ્રિંકસ પાસેથી મીઠાખળી તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં હાલ હયાત 18 મીટરનો રોડ છે. ત્યાં જે કામગીરી ચાલી રહી હતી. તેનું નિરીક્ષણ કર્યું હતું. અત્યારે હાલમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે ત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ફૂટપાથ અને પાર્કિંગ માટે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. જેથી હયાત રોડ 18 મીટર ની જગ્યાએ અડધો એટલે કે 9 મીટર જેવો થઈ ગયો હતો..
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ ફરી એકવાર સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને ખોટી પોલીસ અને ATS અધિકારીની ઓળખ આપી ડરાવવામાં આવ્યા હતા. દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હોવાનું કહી 99 હાજર પડાવવામાં આવ્યા છે. તો બીજી તરફ દરિયાપુર વિસ્તારમાં યુવકનો મોબાઈલ હેક કરીને સાયબર ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડથી અલગ અલગ ખરીદી કરી 65 હજારની ઠગાઈ આચરી છે. બંને ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં વૃદ્ધને એરેસ્ટ કરવાની ધમકી આપીકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગીયાઓએ છેતરપિંડી આચરી છે. 8 જાન્યુઆરીએ વૃદ્ધને અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે ATSમાં SP હોવાનો ખોટી ઓળખ આપી હતી. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હોવાનું કહીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા હતા. સીમકાર્ડ, પાસબુક સહિતની વસ્તુઓનો દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઉપયોગ થયો હોય તેવાની વૃદ્ધને એરેસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આતંકવાદીઓએ 80 લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું વૃદ્ધને વધુ ડરાવવામાં આવ્યા હતા. વૃદ્ધને ખોટી ઓળખ આપનાર વ્યક્તિએ એરેસ્ટ વોરંટ સહિતના ખોટા ડોક્યુમેન્ટ વૃદ્ધને મોકલ્યા હતા. તેમજ વૃદ્ધને વધુ ડરાવી વીડિયો કોલ કરીને અન્ય એક વ્યક્તિએ પોતાની ઓળખ લાલ કિલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે આપી હતી. વીડિયો કોલમાં ખાખી વર્દીમાં વ્યક્તિને જોઈને વૃદ્ધ સાયબર ઠગિયાઓની વાતમાં આવી ગયા હતા. તેમજ વૃદ્ધને દિલ્હી હાઇકોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. જો દિલ્હી હાઈકોર્ટમાં હાજર નહીં થાય તો પોલીસ ઘરે આવીને લઈ જશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં હાજર થવાથી બચવું હોય તો 99 હાજર આપવાની સાયબર ગઠિયાએ માંગણી બતી. જેથી વૃદ્ધે દિલ્હી હાઈકોર્ટમાં જવાથી બચવા માટે 99 હાજર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વૃદ્ધે પરિવારમાં જાણ કરતા સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. યુવકનો મોબાઈલ હેક કરી 65 હજાર ખંખેર્યાદરિયાપુર વિસ્તારમાં રહેતા મોહંમદનદીમ પટણી સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી છે. મોહંમદનદીમ પટણી સિલાઇકામ કરે છે. તેમની પાસે 13 બેન્કોમાં ક્રેડિટકાર્ડ છે. 19 ડિસેમ્બરે નોકરીથી પર આવી રહ્યો હતો ત્યારે બેન્કમાંથી ફોન આવ્યો હતો. તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યુ છે તેવું ફોન કરનારે પૂછ્યું હતું. જે બાદ ફરિયાદીને અલગ અલગ બેંકના મેસેજ આવવા લાગ્યા હતા. જ્યારે ગઠિયાએ ફોન હેક કરીને તેમના ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઇન ખરીદી કરીને કોલકત્તા વેસ્ટ બેંગાલ ખાતે ઇન્સ્ટામાર્ટમાંથી કુરિયર મંગાવ્યું હતું. અલગ અલગ ખરીદી કરીને સાયબર ગઠિયાઓએ ફરિયાદી પાસેથી 65 હજારની ઠગાઈ આચરી હતી. જેથી મોહંમદનદીમ પટણીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થતાથી પીડાતા દિગ્વિજયસિંહે ગઈકાલે સાંજે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. પ્રાઈવેટ ડૉક્ટર પાસે માનસિક તકલીફને લઈને સારવાર ચાલુ કરાવી હતીદિગ્વિજયસિંહ ગોહિલ છેલ્લા ચારથી સવા ચાર વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO તરીકે ફરજ બજાવતા હતા. માનસિક અસ્વસ્થતાને કારણે તેઓ એક મહિના પહેલાં જ સિકલીવ પર હતા અને તાજેતરમાં જ ફરજ પર પાછા ફર્યા હતા. તેમણે ભાવનગરના ખાનગી ડૉક્ટર કેયુર પરમાર પાસે માનસિક રોગની દવા ચાલુ કરાવી હતી પરંતુ, મન અસ્વસ્થ રહેતાં કામમાં મન લાગતું ન હતું. અંતે કંટાળી જઈ દિગ્વિજયસિંહે ગઈકાલે સાંજે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કાર ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને પ્રથમ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ દિગ્વિજયસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું. બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દિગ્વિજયસિંહના પિતા જયદેવસિંહ ગોહિલ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. પિતાના પગેરું પગલે પુત્ર પણ પોલીસમાં જોડાયા હતા. તેમને સંતાનમાં 3 વર્ષનો પુત્ર અને 1 વર્ષની પુત્રી છે. આપઘાતને કારણે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ વિભાગમાં પણ આ ઘટનાથી ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. પોલીસે એકસીડન્ટલ ડેથ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરીઆ અંગે DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ગઈકાલે તારીખ 21ના રોજ દિગ્વિજયસિંહે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમના પિતા જયદેવસિંહ ગોહીલનું નિવેદન લઈને જાણવા જોગ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે દિગ્વિજયસિંહ ડૉ. કેયુર પરમારની માનસિક રોગની દવા લેતા હતા અને સારવાર ચાલુ હતી. આજે તેમનું મોત થતાં એક્સિડેન્ટલ ડેથ (એ.ડી.) કેસ નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને મામલતદારની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSI મોબીન સોદાગરે નકલી સોનું કસ્ટમવિભાગમાંથી છોડાવી આપવાના નામે યુવક પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબીન સોદાગરે પોતાનું નામ સમીર પઠાણ હોવાનું કહીને ખોટી ઓળખ આપી હતી. આ સાથે જ તે SIT ગાંધીનગરમાં ફરજ બજાવતો હોવાનું કહીને 14 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે જે પી રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમીર પઠાણ નામનો શખ્સ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં મળ્યોફરિયાદી શબ્બીરહુશેન ઇકબાલભાઈ તયડીવાલા (રહે. સાહેબ કોટવાલનો ખાંચો, મદનઝાપા રોડ, ન્યાય મંદીર વિસ્તાર, વડોદરા) એ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સમીર પઠાણ નામનો એક શખ્સ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં તેમને મળ્યો હતો. સમીર પઠાણે પોતાને SIT ગાંધીનગરમાં ફરજ બજાવતો હોવાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો હતો. કસ્ટમ વિભાગમાંથી સોનું કાયદેસર રીતે છોડાવી આપવાનું વચન આપ્યુંઆરોપી સમીર પઠાણે ફરિયાદીને કસ્ટમ વિભાગમાં જમા પડેલા સોનાને કાયદેસર રીતે છોડાવી આપવાનું વચન આપ્યું હતું. આ લોભમાં ફરિયાદી પાસેથી આરોપીએ રોકડા 14 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા તો તેનો સંપર્ક થઈ શક્યો નહીં. ત્યારબાદ ગત તા. 20 જાન્યુઆરી 2026ના રોજ ફરિયાદીને ખબર પડી કે, સમીર પઠાણ નામના આ શખ્સનું સાચું નામ મોબીન સોદાગર છે અને તે નકલી PSI તરીકે પકડાયો છે. જેથી તેઓએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં મોબીન સોદાગર સામે ફરિયાદ નોંધાવી છે. શું હતો સમગ્ર મામલોઆ પહેલા 20 જાન્યુઆરીના રોજ SOG પોલીસે બાતમીના આધારે વડોદરાના વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ અલકબીર બંગલા નંબર-3માં રેડ કરી હતી. આ સમયે ઘરનો દરવાજો આરોપીની પત્નીએ ખોલ્યો હતો. પોલીસે આરોપી વિશે પુછતા તે ઘરમાં હોવાની વાત કરી હતી. જેથી પોલીસ તેના ઘરમાં પ્રવેશી હતી અને રેડ દરમિયાન મોબીન ઇકબાલભાઇ સોદાગર (ઉંમર.38, રહે. બંગ્લો નં. 3, અલકબીર બંગ્લોઝ, ઝમઝમ ટાવરની પાછળ, વાસણા-તાંદલજા રોડ, વડોદરા) મળી આવ્યો હતો. તેના બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા બહાર નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે બંને કારમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને કારમાંથી પોલીસના નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને સિક્કા સહિતનું મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીએ પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને રોડ પર તથા જમીન લે-વેચના ધંધામાં દમ મારીને વ્યવહારોમાં મોટા તોડ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેણે પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખ્યો હતો અને પોતાના નામ-ફોટાવાળા ડુપ્લીકેટ પી.એસ.આઈ. આઈકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરીને નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો હતો. પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરતોઆરોપીએ રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ અધિકારી તરીકેના ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાથી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. તેણે પીએસઆઇ ની ખોટી ઓળખ આપીને કોની કોની સાથે ઠગાઈ કરી તે પણ બહાર આવશે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી:ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માર્ગદર્શિકા, APMC બંધ
હવામાન વિભાગે 23 જાન્યુઆરી, 2026ના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સંભવિત માવઠાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે. કમોસમી વરસાદથી ઊભા અને લણણી કરેલા પાકને નુકસાન થવાનો ભય છે. ખેડૂતોને સૂચના અપાઈ છે કે, કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડે. જો તે શક્ય ન હોય, તો પાકને તાડપત્રીથી ઢાંકી દેવો અને વરસાદી પાણી પાકના ઢગલા નીચે ન જાય તે માટે તેની ફરતે માટીનો પાળો બનાવવો અત્યંત આવશ્યક છે. વાદળછાયા વાતાવરણમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા જણાવાયું છે. ઉપરાંત, વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરના જથ્થાને પણ વરસાદથી સુરક્ષિત રાખવા તાકીદ કરાઈ છે. APMCમાં માલ લાવતા ખેડૂતો અને વેપારીઓને પણ સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. ખેતપેદાશોને શેડ નીચે અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવી. શક્ય હોય તો, આગાહીના દિવસોમાં APMCમાં માલ લાવવાનું ટાળવું. ખેતીવાડી વિભાગે 'અગમચેતી એ જ સલામતી'ના સૂત્ર સાથે ખેડૂતોને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. વધુ માહિતી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકાય છે. દરમિયાન, માવઠાની આગાહીને કારણે પાટડી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે તેવી સૂચના પાટડી બજાર સમિતિ દ્વારા અપાઈ છે.
મોરબી-ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવ:એક સગીરા, બે સગીરના મોત; પોલીસ તપાસ શરૂ
મોરબી શહેર અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક સગીરા અને બે સગીર બાળકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હમીરપર ગામે 16 વર્ષીય ઝેરી દવા પી લીધીપ્રથમ બનાવ ટંકારાના હમીરપર ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ નરેશભાઈ ચીકાણીની વાડીએ મજૂરી કરતા પરિવારના 16 વર્ષીય ભદુ ખુમસિંહ મોર્યાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના બહેન ગિરધિબેન ખુમસિંહ મોર્યાએ ટંકારા તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી. નેસડા (ખા) ગામે ખાડામાં ડૂબી જતાં 7 વર્ષના કિશોરનું મોત બીજો બનાવ ટંકારાના નેસડા (ખા) ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મનસુખભાઈ ભાડજાની વાડીએ મજૂરી કરતા સુનિલભાઈ મીરૂસિંહ મેડાનો 7 વર્ષનો દીકરો આકાશ સુનિલભાઈ મેડા વાડી પાસે આવેલા તળાવમાં પાણી ભરેલા ખાડા પાસે પતંગ ચગાવી રહ્યો હતો. રમતા રમતા તે ખાડામાં પડી ગયો અને પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતા સુનિલભાઈ મેડાએ ટંકારા પોલીસને જાણ કરી હતી. મોરબીમાં 13 વર્ષીય સગીરાનો આપઘાતત્રીજો બનાવ મોરબી શહેરમાં દલવાડી સર્કલ પાસે નોંધાયો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પાવઠાની વાડી નજીક કપિલા હનુમાન મંદિર પાસે ઝૂંપડામાં રહેતા કલીયાભાઈ વસુનિયાની 13 વર્ષીય દીકરી સમીરા વસુનિયાએ કોઈ અગમ્ય કારણોસર ઝૂંપડા પાસે બાવળની ડાળીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં સગીરાનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી છે અને પીએસઆઈ એચ.આર. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મોરબીમાં 1042 કરોડના વિકાસ કામો:શનિવારે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમહુર્ત થશે
મોરબી જિલ્લામાં આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લાના સંતુલિત વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સરકારે વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આશરે એક વર્ષ પહેલા રાજ્ય સરકારે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો, જેમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. ત્યારથી, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી વધારવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને અનેક કાર્યો કરવામાં આવ્યા છે. હાલમાં પણ કેટલાક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી શહેર ભાજપની ટીમ દ્વારા વોર્ડ વાઇઝ બેઠકો યોજીને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોરબીના લોકોની સુખાકારી વધારવા માટે જરૂરી ગ્રાન્ટ અને વિકાસ કામોની મંજૂરી આપી રહી છે. આગામી સમયમાં મચ્છુ નદી પર બે નવા બ્રિજ, સનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે એક ઓવરબ્રિજ, અનેક આરોગ્ય કેન્દ્રો, નવી મહાનગરપાલિકા બિલ્ડિંગ, નવું સર્કિટ હાઉસ અને બે નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાદરા ગામે બાઇક અકસ્માતમાં એક યુવકના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે. ગામમાં કામ અર્થે નીકળેલા મહેશ ચૌહાણને અન્ય બાઇક ચાલકે ટક્કર મારતા આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સાદરા ગામના રહેવાસી મહેશભાઈ ચૌહાણ પોતાનું બાઇક લઈને ગામમાં જ કોઈ અંગત કામ માટે નીકળ્યા હતા. તે સમયે માર્ગ પર અન્ય એક મોટરસાયકલ સાથે તેમની બાઇકનો જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહેશભાઈને શરીરના ભાગે તેમજ બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહેશ ચૌહાણને તાત્કાલિક શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓની ગંભીરતા જોતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. ગોધરા સિવિલમાં તબીબોની તપાસમાં યુવકના બંને હાથમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે.
NSUI સુરેન્દ્રનગરમાં નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજશે:CU શાહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે આયોજન
ગુજરાત NSUI દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે 'ડ્રગ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 3:30 થી સાંજે 5:00 દરમિયાન યોજાશે. આ જાગૃતિ કાર્યક્રમ NSUI સુરેન્દ્રનગર અને સી.યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પ્રભાવો અંગે જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરપાલસિંહજી ચુડાસમા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સચિવ તથા રાજસ્થાન કોંગ્રેસના ઇન્ચાર્જ ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. NSUI સુરેન્દ્રનગરના પ્રમુખ યશપાલસિંહ પરમારે તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે.
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ આજરોજ ભાવનગર મંડળના મહુવા-ધોળા રેલખંડ અને ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપની મુલાકાત લઈ વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું, આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલવે સુરક્ષા, મુસાફર સુવિધાઓ અને વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો હતો, વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ દરમિયાન ગુપ્તાએ લેવલ ક્રોસિંગ, મહત્વપૂર્ણ મોટા તથા નાના પુલો, અંડરબ્રિજ, સેકશનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સંરક્ષા તત્ત્વોનું ગહન નિરીક્ષણ કર્યું તેમજ મહુવા, સાવરકુંડલા અને ધોળા સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓનો પણ વિગતવાર જાનકારી લીધો. મહુવામાં તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત લોકો પાયલટ, ટ્રેન મેનેજર અને ચલ ટિકિટ નિરીક્ષકના રનિંગ રૂમ, સોલર ઇન્સ્ટોલેશન, રેલવે કોલોની વગેરેનું સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું, સાવરકુંડલામાં ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ સેકશનમાં ગુપ્તાએ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી, રેલવે કોલોની તથા હેલ્થ યુનિટનું પણ નિરીક્ષણ કર્યું, લીલિયા મોટા-ધોળા ખંડ વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ગતિએ સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. તેમણે ધોળામાં કોલોની અને હેલ્થ યુનિટનું પણ નિરીક્ષણ કર્યું, ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપમાં તેમણે કોચ સેકશન, વ્હીલ શોપ, એર બ્રેક શોપ, નવા બનેલી હેરિટેજ ગેલેરી વગેરેનું સંરક્ષા નિરીક્ષણ કર્યું, સાથે સાથે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી, સાવરકુંડલા રેલવે સ્ટેશન પર અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાલાએ મહાપ્રબંધક સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ ઉપરાંત, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ યુનિયનો અને સરપંચો દ્વારા રેલવે સુવિધાઓ અંગે રજૂઆતપત્રો સોંપવામાં આવ્યા હતા.
વિંછીયા તાલુકાના એક ગામમાં સ્કૂલ બસના ડ્રાઈવરે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકીના માતા-પિતાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 13 જાન્યુઆરી, 2025 અને 20 જાન્યુઆરી, 2025 એમ બે અલગ-અલગ પ્રસંગે બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, ક્રિષ્ના પ્રાઇમરી સ્કૂલમાં બાલવાટિકા વિભાગમાં અભ્યાસ કરતી આ બાળકીને સ્કૂલના વાહન ચાલક કાળુભાઈ નાગજીભાઈ ચાવ દ્વારા સ્કૂલેથી ઘરે મૂકવા જતી વખતે રસ્તામાં વાડી વિસ્તારમાં લઈ જઈને કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકીની નાની ઉંમરને કારણે તેને શું થઈ રહ્યું છે તેની પૂરી સમજ નહોતી. જોકે, તે સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી, ત્યારે તેના માતા-પિતાને શંકા ગઈ. માતા-પિતાએ બાળકીને ચોકલેટ આપીને પ્રેમથી પૂછપરછ કરતાં તેણે પોતાની ભાષામાં સ્કૂલના વાહન ચાલક દ્વારા કરાયેલા કૃત્ય વિશે જણાવ્યું હતું. આથી બાળકીના માતા-પિતાએ તાત્કાલિક વિંછીયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કાળુભાઈ નાગજીભાઈ ચાવની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આરોપીના રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં કરવામાં આવશે અને તે અગાઉ આવા કોઈ કૃત્યમાં સંકળાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જસદણ અને વિંછીયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આશરે 50 દિવસ પહેલા જસદણના આટકોટ નજીક 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેમાં પોલીસે 43 દિવસમાં આરોપીને ફાંસીની સજા અપાવવામાં સફળતા મેળવી હતી.
અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વેજલપુર પોલીસે ફતેવાડી વિસ્તારમાં દરોડા પાડીને MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. MD ડ્રગ્સ સાથે માતા અને પુત્રને ઝડપી લેવામાં આવી છે. ટુ-વ્હીલર પર ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા ત્યારે બંનેને રંગેહાથ પકડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા લાખો રૂપિયાના નશીલા પદાર્થો મળી આવ્યા હતા તેમજ બંને પાસેથી મોબાઈલ ફોન અને વાહન કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ વાહન દેખાતાં જ પોલીસે અટકાયત કરીવેજલપુર પોલીસ ચેકીંગમાં હતી તે દરમિયાન પીઆઈને ગુપ્ત બાતમી મળી હતી કે, એક સફેદ રંગની એક્સેસ સ્કૂટર પર એક મહિલા અને એક યુવાન ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટ તરફથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સની હેરાફેરી કરવા જવાના છે. જેથી પોલીસે બાતમીની ખરાઇ કરતા હકીકત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બંનેને ઝડપી પાડવા માટે બાતમીના આધારે પોલીસે સવેરા હોટલના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહન દેખાતાં જ પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પકડાયેલી આરોપીઓ NDPSના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યુંતપાસ દરમિયાન સ્કૂટર પર સવાર મહિલા સમીમબાનુ ઉર્ફે પપ્પી અને તેનો પુત્ર મોમીનખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, શંકાના આધારે તપાસ કરતા 250 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું તેમજ બંને આરોપીની પૂછપરછ કરતા બંને લોકો કાલુપુર વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ડ્રગ્સની સાથે સાથે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર મળી કુલ 7.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આ ડ્રગ્સનો જથ્થો તેમને ફતેવાડીની સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્યો હતો. પકડાયેલી આરોપી મહિલા સમીમબાનુ અગાઉ સાણંદમાં પ્રોહિબિશન અને DCB પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું છે. જેથી વેજલપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટાફ અને પંચને સાથે રાખીને રેડ કરવામાં આવી હતીએમ ડિવિઝન ACP એ.બી. વાણંદે જણાવ્યું હતું, વેજલપુર પીઆઇને બાતમી મળી હતી કે ફતેવાડી વિસ્તારમાં MD ડ્રગ્સ લઈને નીકળવાના છે. જેથી સ્ટાફ અને પંચને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન આરોપી સમીમબાનુ ઉર્ફે પપ્પી અને તેનો દીકરો મોમીનખન પઠાણને પકડવામાં આવ્યા હતા. 250 ગ્રામ જેટલું MD ડ્રગ્સ પણ તેમની પાસેથી મળી આવ્યું હતું. પકડાયેલા બંને આરોપીઓ માતા અને પુત્ર છે. તેમજ તેના પિતા પણ 2017થી ડ્રગ્સમાં પકડાયેલા છે, જે અત્યારે જેલમાં છે. મહિલા પણ SOG ના NDPS ના ગુનામાં વોન્ટેડ છે. અગાઉ સાણંદ પોલીસે પણ તેની ધરપકડ કરેલી છે. એક ટ્રિપના 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતાવધુમાં એ.બી. વાણંદે જણાવ્યું હતું કે, આખો પરિવાર ગેરકાયદેસર પ્રવૃતિઓમાં 2017થી સંડોવાયેલો છે. મોરબી લઈ જઈને કોન્ટેક્ટ આપવામાં આવ્યો હતો તેને ડ્રગ્સ આપવાનું હતું તેવું પૂછપરછમાં જણાવ્યું છે. બે વખત પણ તે ડ્રગ્સ સપ્લાય કરીને આવ્યો હોવાનું સામે આવ્યું છે. રામોલ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બંને લોકોને ટ્રિપ પર પૈસા આપવામાં આવતા હતા. એક ટ્રિપના 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. બે ટ્રીપ કર્યા બાદ ત્રીજી ટ્રીપ કરવા જતા પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદથી મોરબી જે ટ્રાવેલ્સ જતી હોય છે તેમાં બેસી જતા હતા અને જે કોન્ટેક આપવામાં આવતો હતો તેને ડ્રગ્સ આપીને પરત આવી જતા હતા.
નિકોલમાં રહેતા એક વ્યક્તિ સાથે વડોદરાના એક બોગસ પત્રકારે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. GST અધિકારીઓ દ્વારા પકડાયેલી જંતુનાશક દવાઓ ભરેલી ટ્રક છોડાવી આપવા માટે વડોદરાના એક પત્રકારનો સંપર્ક કર્યો હતો. જંતુનાશક દવાઓના માલસામાનની ટ્રક છોડાવવા સંપર્ક કરતા ઓળખાણ હોવાની પત્રકારે વિશ્વાસ જીત્યો હતો. ટ્રક છોડાવી આપવા માટે પત્રકારે અલગ-અલગ દંડના 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ ટ્રક છોડાવી ન આપતા 20 લાખ રૂપિયા પરત આપવાની ફરિયાદીએ માંગણી કરી હતી પરંતુ, પૈસા પણ પરત ન આપતા ફરિયાદીએ બોગસ પત્રકાર મેહુલ પટેલ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્રક છોડાવવા માટે મદદ માગીકમલેશકુમાર પ્રજાપતિ નરોડા વિસ્તારમાં રહે છે અને વડોદરાની એક કંપનીની અસલાલી સ્થિત ઓફિસમાં સ્ટેટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. કમલેશકુમારના ભાવનગરમાં રહેતા મિત્ર પૃથ્વીરાજસિંહ ગોહિલ જંતુનાશક દવાઓના વેપાર સાથે સંકળાયેલા છે. ગત 12 સપ્ટેમ્બરે રાત્રે પૃથ્વીરાજસિંહે કમલેશકુમારને ફોન કર્યો હતો. વડોદરાની રાજપીપળા ચોકડી ખાતે GST અધિકારીઓએ જંતુનાશક દવાઓ ભરેલી ટ્રક અટકાવી છે અને ટ્રક છોડાવવા માટે કંઈક મદદ કરવા માટે કહ્યું હતું. બોગસ પત્રકારે ટ્રક છોડાવી આપવા 20 લાખ માગ્યાજેથી, મિત્રની મદદ કરવા કમલેશકુમારે વડોદરામાં રહેતા પોતાના ઓળખીતા પત્રકાર મેહુલ પટેલનો સંપર્ક કર્યો હતો. મેહુલે પોતે અધિકારીઓ સાથે સારી ઓળખાણ ધરાવતો હોવાનું કહી ટ્રક છોડાવી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે મેહુલે વોટ્સએપ કોલ કરીને દંડ અને પેનલ્ટી સહિત કુલ 20 લાખ રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું. વડોદરાના પત્રકાર પર વિશ્વાસ રાખીને વિશ્વાસ મૂકીને 20 લાખ આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. ટ્રક ન છૂટતા પૈસા પરત માગતા જાનથી મારવાની ધમકી આપીજે બાદ ગત 14 સપ્ટેમ્બરે મેહુલ નિકોલ વિસ્તારમાં આવેલા વસાણી પાર્ટી પ્લોટ પાસે રૂપિયા લેવા માટે આવ્યો હતો. જ્યાંથી તેણે રોકડ રકમ લઈ લીધી હતી. સાથે જ ચાર દિવસમાં ટ્રક છોડાઈ જશે તેવી ખાતરી પણ આપી હતી. પરંતુ દિવસો વીતી જવા છતાં ટ્રક છોડવામાં આવી ન હતી. જ્યારે કમલેશકુમારે મેહુલનો સંપર્ક કર્યો ત્યારે તેણે રૂપિયા પરત ન આપવાની વાત કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કમલેશકુમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં બોગસ પત્રકાર મેહુલ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના એ.એચ.ટી.યુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરીયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે. લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી હતી. સ્ટેશન ગરનાળા નજીક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુંઆ ભ્રષ્ટાચારના ખેલમાં લોકરક્ષક ધીરુભાઈ એકલા નહોતા, તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણિલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી. રોનક ત્રિવેદી છાપરાભાઠા રોડ, અમરોલીનો રહેવાસી છે. ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન થયા ત્યારે તેમણે ACBના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે વડોદરા ACB ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે, સ્ટેશન ગરનાળા નજીક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની ટીમ સ્તર પર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીઓને રંગેહાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી. રંગેહાથ ઝડપાયેલા આરોપીઓ અને રકમની રિકવરીટ્રેપ દરમિયાન, લોકરક્ષક ધીરુભાઈ ઠાકરીયાના કહેવાથી અને તેમની મદદગારીથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. વાતચીતના અંતે રોનકે 25,000ની લાંચની રકમ સ્વીકારી હતી. જેવી રકમનો સ્વીકાર થયો, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ સ્થળ પર જ લાંચની 25,000ની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી હતી.
સુરત વન વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે ખૈર લાકડાના સ્મગલિંગ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માંડવી દક્ષિણ રેન્જમાં નોંધાયેલા વન ગુનાની ગંભીરતા જોઈને વન વિભાગે આ કેસ EDને સોંપ્યો હતો, જેના પગલે EDએ મુખ્ય આરોપી અરીફ અલી અમજદ અલી મકરાણી અને તેના સાથીદારોની 11.3 કરોડની મિલકતો જપ્ત કરી છે. આ કાર્યવાહી રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને આર્થિક અપરાધો વિરુદ્ધ લેવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું છે. આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશતપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, આ એક અત્યંત સંગઠિત અપરાધિક ટોળકી હતી, જે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સંરક્ષિત જંગલોમાંથી ખૈરના લાકડાની ગેરકાયદેસર ચોરી કરતી હતી. આ ટોળકીમાં મુખ્યત્વે અરીફ અલી, મુસ્તાક આદમ તાસીયા અને તાહિર અહેમદ હુસેન મોહન જેવા શખ્સો સામેલ હતા. તેઓ વિવિધ રાજ્યોની સરહદો પરથી પ્રતિબંધિત લાકડાનું પરિવહન કરી તેને બજારમાં વેચી કરોડો રૂપિયાની કમાણી કરતા હતા. આ આંતરરાજ્ય નેટવર્કને તોડવા માટે સુરત વન વિભાગે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. PMLA હેઠળ કડક કાયદાકીય સકંજોશરૂઆતમાં સુરત વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ હતી. જોકે, આ કેસમાં કરોડો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારોની શંકા જણાતા, વન વિભાગની ભલામણથી EDએ તપાસની કમાન સંભાળી હતી. EDએ આ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરી અને શોધી કાઢ્યું કે સ્મગલિંગ દ્વારા મેળવેલા કાળા નાણાંનો ઉપયોગ મોટી મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો, જેના આધારે જપ્તીની કાર્યવાહી કરાઈ છે. 11.3 કરોડની સ્થાવર મિલકતો જપ્તEDની તપાસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે આરોપીઓ દ્વારા વન્ય સંપત્તિની ચોરી કરીને ઉભી કરવામાં આવેલી કુલ 14 સ્થાવર મિલકતોની ઓળખ કરવામાં આવી. આ મિલકતોની અંદાજિત બજાર કિંમત 11.3 કરોડ જેટલી છે, જેને ED દ્વારા પ્રોવિઝનલી એટેચ કરવામાં આવી છે. વન્યજીવ સંબંધિત ગુનામાં આટલી મોટી રકમની સંપત્તિ જપ્ત કરવાની આ ગુજરાતની પ્રથમ ઘટના છે. આ કડક પગલાનો મુખ્ય હેતુ વન માફિયાઓની આર્થિક કરોડરજ્જુ તોડી પાડવાનો છે, જેથી ભવિષ્યમાં આવા ગુના અટકે. જૂન 2024ના દરોડા અને કરોડોનું લાકડુંઆ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ જૂન 2024માં કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીથી થયો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે સ્થિત 'શાલીમાર એન્ટરપ્રાઇઝ' નામના ડેપો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી અંદાજે 2055 મેટ્રિક ટન ખૈરનું લાકડું જપ્ત કરાયું હતું. આ લાકડાનો જથ્થો માંડવી સુધી લાવવા માટે કુલ 247 ટ્રકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું. આ જપ્ત કરાયેલા લાકડાની કિંમત આશરે 10 કરોડ આંકવામાં આવી છે, જે સ્મગલિંગના વ્યાપને સ્પષ્ટ કરે છે. પર્યાવરણીય નુકસાન અને સરકારની નીતિખૈરના વૃક્ષોની અંધાધૂંધ કાપણીને કારણે પર્યાવરણ અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનને ગંભીર નુકસાન પહોંચે છે. ગુજરાત સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ આ પ્રકારની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે આકરી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. વન વિભાગ અને EDની આ સંયુક્ત સફળતા દર્શાવે છે કે, પર્યાવરણીય ગુનાઓને હવે આર્થિક ગુનાની જેમ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. જંગલોનું રક્ષણ એ સરકારની પ્રાથમિકતા છે અને આ કેસ તેનું ઉદાહરણ છે. ફરાર આરોપીઓની શોધ અને તપાસ તેજહાલમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી તાહિર અહેમદ હુસેન મોહન પોલીસની પકડથી દૂર એટલે કે ફરાર છે. ED અને વન વિભાગની ટીમો દ્વારા આ આરોપીને પકડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સ્મગલિંગ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને બેંક ખાતાઓ દ્વારા કેટલા વ્યવહારો થયા છે તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં વધુ કેટલીક સંપત્તિઓ જપ્ત થાય તેવી શક્યતા છે. વન માફિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સોવન વિભાગ અને EDની આ સંયુક્ત કાર્યવાહીથી રાજ્યના વન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ કેસ એ સાબિત કરે છે કે હવે જંગલની ચોરી કરનારાઓ માત્ર જેલના સળિયા પાછળ જ નહીં જાય, પરંતુ તેમની ગેરકાયદેસર રીતે વસાવેલી તમામ સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. વન વિભાગે જનતાને પણ અપીલ કરી છે કે વન્ય સંપત્તિના રક્ષણમાં સહયોગ આપે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જાણ કરે જેથી પર્યાવરણને બચાવી શકાય.
રાજકોટના રૈયાધાર મફતીયાપરા મચ્છુનગર કવાર્ટરની સામે પાણીના ટાંકા પાસે રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા રીનાબેન ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.35)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટાવડા ગામે રહેતા કાના મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા પતિ સાથે માથાકૂટ થતા તે ઘરેથી નીકળી એસ.ટી બસ સ્ટેન્ડ પાસે આવી હતી ત્યારે તેને આરોપી કાના મકવાણા સાથે પરીચય થયો હતો બાદમાં પ્રેમસંબંધ થતા બંને સાથે રહેતા હતાં. ત્યારબાદ બે વર્ષ પહેલા તેને હાર્દિક જોશી સાથે મિત્રતા બાદમાં પ્રેમ થતા આ વાતની જાણ કાના મકવાણાને થતા તેને આ ગમતું નહીં અને આ બાબતે ત્રણેય વચ્ચે બોલાચાલી થઇ હતી. કાનો મહિલાને હાર્દિક સાથે ફોનમાં વાત કરવાની ના પાડતો હતો જેથી મહિલાએ તેને બોલવાની ના પાડી હતી. દરમિયાન ગઇકાલે બપોરના બે વાગ્યા આસપાસ મહિલા તેના ઘરે હતી ત્યારે તેને કાના મકવાણાએ ફોનમાં બોલાચાલી કરી ગાળો આપી જો તું મારી સાથે નહીં બોલ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી મહિલાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જામનગર હાઇવે રોડ પર નાગેશ્વર વિસ્તારમાં પટેલ ચોકમાં આવેલ શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો નિલેશ સુરેશભાઈ પરમાર (ઉ.વ.30) ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો 108ની ટીમ તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ નિલેશ ફેબ્રિકેશનનું કામ કરતો હોવાનું અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે. જો કે આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્રિજેશ સુરેશચંદ્ર ગૌતમ (ઉં.વ.31) આજે સવારે 11 વાગ્યાં આસપાસ રીબડા પાસે આવેલા નવા બનતા કારખાને હતો ત્યારે કલરકામ કરતી વખતે લોખંડના ઘોડા ઉપરથી આશરે 12 ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડી જતા માથમાં ઇજા પહોંચી હતી જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યો હતો. બ્રિજેશ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. તેને સંતાનમાં એક દીકરી છે. દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે જાણ થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગઢડામાં અયોધ્યા રામ મંદિરનો દ્વિતીય પાટોત્સવ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, આતશબાજી સાથે ઉજવણી
ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિરના દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગઢડાના બોટાદ ઝાંપે આવેલા હનુમાનજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને રામભક્તો એકત્ર થયા હતા. તેમણે વિશેષ મહાઆરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન શ્રી રામના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મહાઆરતી બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં રામભક્તોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ચંદુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે આવી ધાર્મિક ઉજવણીઓ સમાજમાં એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને અમરેલીથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વઢવાણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આનંદ ઉર્ફે ટકો ચતુરભાઈ મકવાણા (રહે. ફિરદોષ સોસાયટી, નવા પાવર હાઉસ આવાસ કોલોની, સુરેન્દ્રનગર) અને મોહિત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારઘી (રહે. વઢવાણ ગણપતિ ફાટસર, સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે. તેમને માણેકપરા, અમરેલી ખાતેની એન્જલ હોટેલ પાસેથી પકડવામાં આવ્યા હતા. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવના ભાગરૂપે, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ ટીમના કર્મચારીઓ સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો હતો. તેમણે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ સોર્સિસના આધારે ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તેમજ સુરેન્દ્રનગર સીટી બી ડીવિઝન પો.સ્ટેના ગુન્હાના નાસતા ફરતા આરોપી હીતેશભાઇ કનુભાઇ દુલેરા રહે-રાજ હોટેલ પાસે સુરેન્દ્રનગર જી.સુરેન્દ્રનગરવાળાને માણેકપરા અમરેલી ખાતેથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર સીટી બી ડીવિઝન પો.સ્ટેને સોપવામાં આવેલ છે.
મોડાસાના કઉ ગામે યોજાયો વિશેષ કેમ્પ:વહાલી દીકરી યોજના, આધારકાર્ડ સહિતની સેવાઓ સ્થળ પર ઉપલબ્ધ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કઉ ગ્રામ પંચાયત ખાતે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વહાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓના ફોર્મ સ્થળ પર જ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. વહાલી દીકરી યોજના ઉપરાંત, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ અને વિધવા સહાય યોજના જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દીકરીઓના આધારકાર્ડ કઢાવવા, આધારકાર્ડમાં સુધારા-વધારા, લગ્ન પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ) મેળવવા અને ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી તથા માહિતી પણ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી, જેનાથી ગ્રામજનોને ઘણી સુવિધા મળી. આ કેમ્પને સફળ બનાવવા માટે પોસ્ટ વિભાગના કર્મચારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, પંચાયતના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા સુવ્યવસ્થિત આયોજનને કારણે મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે રૂ. 8 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કુલ રૂ. 3,44,08,300 ના ખર્ચે તૈયાર થનાર કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે રૂ. 5,36,60,866 ના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ, કુલ રૂ. 8,80,69,166 ના વિકાસ કાર્યો હાથ ધરાયા હતા. લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયેલા કાર્યોમાં ગાર્ડન ડેવલોપમેન્ટ, પ્રોટેક્શન વોલ, પાર્કિંગ ડેવલોપમેન્ટ, ઘનકચરા સાઈટ રોડ, ટીપી રોડ ડેવલોપમેન્ટ અને શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યો ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સંપન્ન થયા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, કારોબારી ચેરમેન જીનલ પટેલ, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી અને અન્ય ચૂંટાયેલા સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોથી આગામી સમયમાં શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ અને લાભ મળશે તેવી અપેક્ષા છે.
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન વાહનચાલકોના લાઈસન્સ, સીટ બેલ્ટ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મ લગાવેલી ફોરવ્હીલરની તપાસ કરવામાં આવી હતી. બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો પરથી સ્થળ પર જ ફિલ્મ ઉતારી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. PSI રાવલે જણાવ્યું હતું કે, અકસ્માત અને ગુનાખોરી માટે જવાબદાર બની શકે તેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખાસ કરીને બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
વેરાવળના આંબેડકરનગર વિસ્તારમાં જીઆઈડીસીને જોડતા રસ્તાનું નવીનીકરણ છેલ્લા બે વર્ષથી અટકેલું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તાના નિર્માણ માટે પાલિકાએ બે વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કામગીરી હજુ શરૂ થઈ નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ડામરનો રસ્તો બનાવવાનું આયોજન હતું. જોકે, પાછળથી સ્થાનિકો દ્વારા સીસી (કોંક્રિટ) રોડ બનાવવાની માંગ ઉઠી હતી. આ માંગને કારણે એસ્ટીમેટથી લઈને સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરવી પડી, જેના લીધે કામમાં વિલંબ થયો. તેમણે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં રસ્તાનું કામ શરૂ થઈ જશે. આંબેડકરનગર વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહે છે, જેના કારણે જીઆઈડીસીમાં મજૂરી કામે જતા શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વેરાવળ, ભાલકા સહિત આસપાસના ગામોના મજૂરો આ ટૂંકા રસ્તાનો ઉપયોગ કરે છે, અને રસ્તો બંધ થવાથી તેમને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડે છે. રસ્તા પર સતત ગંદા પાણી ભરાયેલા રહેવાથી આંબેડકરનગરના સ્થાનિક રહેવાસીઓને ગંદકી અને બીમારીઓની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાણીના નિકાલ માટે બનાવેલા ગટરના મોટાભાગના ઢાંકણા વાહનોની અવરજવરને કારણે તૂટી ગયા છે. આ મામલે આંબેડકરનગરના રહીશો દ્વારા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખને પણ 18 જુલાઈ 2023ના રોજ લેખિત રજૂઆત કરાઈ હતી, જેના પગલે સ્થળ ખરાઈ કરીને 8 સપ્ટેમ્બર 2023ના રોજ રસ્તો બનાવવા માટે ટેન્ડર બહાર પાડી કામગીરી સોંપવામાં આવી હતી. તેમ છતાં કામ શરૂ ન થતા, સ્થાનિકો દ્વારા વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
અમદાવાદના M ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે કે ગત નવેમ્બર મહિનામાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત કરીને મહિલાનું મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો હતો. નોંધાયેલી ફરિયાદ મુજબ વાસણામાં આવેલ મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે નશો કરીને ટ્રક ચલાવી હતી. જેથી એકટીવા ચાલક મહિલા સાથે તેને અકસ્માત સર્જ્યો હતો. એકટીવા ચાલક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. ટ્રક ડ્રાઇવર નશાની હાલતમાં હતોઆ ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા શિક્ષિકા હતી. જ્યારે ટ્રક ડ્રાઇવર નશાની હાલતમાં હોવાથી તે સરખો ઉભો પણ રહી શકતો નહોતો. લોકોએ તેને પકડીને સાઈડમાં બેસાડ્યો હતો. પોલીસે બાદમાં આરોપી મીઠુલાલ ભાટની ધરપકડ કરી હતી. જેને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી નાખી છે. અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, આ એક અકસ્માત હતો. મહિલાને મારી નાખવાનો અરજદારનો કોઈ ઈરાદો ન હતો. તે અમદાવાદનું કાયમી રહેવાસી છે. આથી તે ટ્રાયલમાં ઉપસ્થિત રહેશે અને ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીને જામીન આપવા વિરુદ્ધ કરી દલીલ કરી હતી કે, અકસ્માત સમયે અરજદાર આરોપી નશામાં હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ છે.
ગુજરાતમાં વન વિભાગના કેસમાં પહેલી વાર EDએ મોટી કાર્યવાહી કરી છે. સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજ હેઠળ 2024માં નોંધાયેલા ખેરના લાકડાની તસ્કરીના ગંભીર ગુનામાં EDએ આ કાર્યવાહી કરી છે. 2055 મેટ્રિક ટન ખેરના લાકડાની તસ્કરીના આ કેસમાં EDએ ત્રણ મુખ્ય આરોપીઓની કુલ રૂ.11.30 કરોડની મિલકત જપ્ત કરી છે. આ સાથે આ ગુના સાથે સંકલળયેલી વાપીની આંગડિયા પેઢી માંથી 26.49 લાખ રોકડા રિકવર કરવામાં આવ્યાં છે. 2055 મેટ્રિક ટન ખેરના લાકડા 247 ટ્રક મારફતે માંડવી લવાયામાંડવી વન વિભાગના ACF હિતેશ આર. જાદવના જણાવ્યા અનુસાર 14 જૂન 2024માં આ ગુનો દાખલ થયો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે આવેલા શાલીમાર એન્ટરપ્રાઇસ ડેપોમાંથી અંદાજે 2055 મેટ્રિક ટન ખેરના લાકડાનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ ખેર લાકડાનો આ વિશાળ જથ્થો 247 ટ્રક મારફતે માંડવી ખાતે પરિવહન કરી લાવવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસમાં ગોધરાના મુસ્તાક આદમ તાસીયા, તાહિર અહેમદ હુસેન મોહન અને મધ્યપ્રદેશના અલીરાજપુરના આરીફઅલી અમજદઅલી મકરાણી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી તાહિર અહેમદ હુસેન મોહન હાલ ફરાર છે. અત્યાર સુધીમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાપીથી આંગડિયા પેઢીમાંથી 26.49 લાખ રિકવર કરાયા ACF હિતેશ આર. જાદવે વધુમાં કહ્યું કે હાલની તપાસમાં મૂળ ઉત્તરપ્રદેશના ભીલાડના આરોપી અબ્બાસખાન હાફિજખાનને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન તા.21-01-2026ના રોજ વાપી ખાતે આર. કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી રૂ.4.13 કરોડની ગેરકાયદેસર હવાલા લેવડદેવડના રેકોર્ડ તથા રૂ.26.49 લાખ રોકડા નાણાં જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ખેરના લાકડાની તસ્કરી શા માટે?ACF હિતેશ આર. જાદવે ખેરના લાકડાની તસ્કરી શા માટે કરવામાં આવે છે તેની વિગતો આપતા કહ્યું કે ખેરના લાકડાની તસ્કરી પ્રતિબંધિત છે. ખેરના લાકડામાંથી કાથો બને છે. આ આરોપીઓ ખેરના લાકડાઓ કાપીને જુદી-જુદી કાથા બનાવતી ફેકટરીઓમાં વેચતા હતા અને ગેરકાયદેસર રીતે કમાણી કરતા હતા. આરોપીઓ દ્વારા ખેરના લાકડાની તસ્કરીનું કૌભાંડ ગુજરાત, દિલ્હી, પંજાબ રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલું હતું. વન વિભાગના ગુનાના ઇતિહાસમાં ED દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રથમ વખત નોંધપાત્ર ગણાઈ રહી છે. ખેર તસ્કરીના ગુનાઓને નાબૂદ કરવા માટે સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈય્યર, નાયબ વન સંરક્ષક ધીરજકુમાર અને મદદનીશ વન સંરક્ષક હિતેશ આર. જાદવના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
હિંમતનગરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટરની અધ્યક્ષતામાં 32 પ્રશ્નો રજૂ થયા
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 32 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. લોકશાહીને જીવંત રાખી પ્રજા કલ્યાણ માટે ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બન્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. રજૂ કરાયેલા પ્રશ્નોમાં દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, હદ માપણી, ખાનગી પ્લોટ માપણી, રોડ-રસ્તાના પ્રશ્નો અને પાણી નિકાલ સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં, તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નો શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવા દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ઇડર પ્રાંત અધિકારી, પોલીસ પ્રતિનિધિ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે જ રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને દારૂ પીતા વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે સયાજીગંજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને દારૂ પી રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન સર્કલ પાસે મહારાષ્ટ્ર પાસિંગની કાર (MH-12-FK-1901) કાર ચાલક દ્વારા રસ્તામાં ઉભી રાખવામાં આવી હતી. આ સમયે વીડિયોમાં કારના અંદર બેઠેલા વ્યક્તિ દારૂની બોટલ સાથે જોવા મળ્યો હતો અને તે કોઈ પીણું પીતો હોય તેમ દેખાયો હતો. આ કારણે આસપાસના વાહનોને અડચણ પહોંચી હતી અને ટ્રાફિક જામ થયો હતો. પાછળથી આવતી બસના ચાલકે હોર્ન વગાડવા છતાં કારને રસ્તામાંથી હટાવી નહોતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. પંડ્યાની સૂચના મુજબ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં કારના નંબરના આધારે ચાલકની ઓળખ થઈ હતી અને સયાજીગંજ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ વ્યક્તિનું નામ વિકાસ જગદીશ શર્મા(જી/904, દર્શનમ સેન્ટ્રલ પાર્ક, સયાજીગંજ, વડોદરા) છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોના વધારે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજાની શોધખોળ ચાલી રહી છે.
સમગ્ર રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો માહોલ જામ્યો છે.ત્યારે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. ભર શિયાળામાં આકાશ વાદળછાયું બનતા અને વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. મહેસાણા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થયા હતા.જેના કારણે વાતાવરણમાં એકાએક ભેજ અને ઠંડકનું પ્રમાણ વધી ગયું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધીહવામાનમાં આવેલા આ પલટાને કારણે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે આ કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ડબલ ઋતુના અનુભવને કારણે આરોગ્ય પર પણ વિપરીત અસર થવાની અને શરદી-ખાસી જેવા રોગો વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. હાલ તો મહેસાણાવાસીઓ ઠંડી અને વરસાદના વિચિત્ર સંગમ વચ્ચે અટવાયા છે.
EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ... 8 કરોડ લોકોને ફાયદો
EPFO 3.0 New Rule : કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO 3.0) માં મોટા ફેરફાર કર્યા છે, જેનાથી આઠ કરોડ લોકોને ફાયદો થશે. નવા ફેરફાર મુજબ હવે ઈપીએફઓના ખાતાધારકો એટીએમથી નાણાં ઉપાડી શકશે. એટલું જ નહીં પીએફમાંથી નાણાં ઉપાડવાના વિકલ્પોમાં પણ ફેરફાર કરાયા છે. આમ તો છેલ્લા ઘણા સમયથી પીએફ ઉપાડવાના નિયમો સરળ કરવામાં આવ્યા બાદ ક્લેમ સેટલમેન્ટના વધારો થયો છે.
રાજકોટમાં રહેતી એક યુવતીને બેંકનું ફોર્મ ભરી દેવાનું કહી એક યુવકે આચરેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દુષ્કર્મ બાદ યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ સહિતની કલમ હેઠળ કુવાડવા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો આ કેસમાં બન્ને પક્ષની દલીલોના અંતે પુરાવાઓને ધ્યાનમાં રાખી રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી જીગર ઉર્ફે જીગો ભાદરકાને આજીવનકેદની સજા તેમજ રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જુલાઈ 2023માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતીતા.01.07.2023ના રોજ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાએ બેંકનું ફોર્મ ભરવાનું કહી યુવતીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટ બાદ કોર્ટમાં કેસ શરૂ થતા પ્રોસીક્યુશન દ્વારા આ કેસના મુખ્ય સાહેદ ફરિયાદી યુવતીની કોર્ટમાં સોગંદ ઉપર જુબાની લેવામાં આવી અને તેમની જુબાનીમાં તેણીની ઉપર આરોપીએ દુષ્કર્મ કરેલ હોવાની હકીકત જણાવી હતી. તેમજ આ કેસમાં પ્રોસીક્યુશન દ્વારા ડોક્ટરની, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની, તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી અને દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજૂ રાખવામાં આવ્યા હતા જેમાં ફરિયાદ પંચનામાં તથા મેડિકલ સર્ટિફિકેટ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન સહિત દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ રાખવામાં આવ્યા હતા. યુવતીને આઘાત લાગતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો'તોસરકાર તરફે સરકારી વકીલ દ્વારા વિસ્તૃત દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ફરિયાદી યુવતીને બેંકનું ફોર્મ ભરવાના બહાને બાવડું પકડી રૂમમાં લઈ જઈ ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. પછી આ ઘટનાના કારણે યુવતીને ખૂબ જ આઘાત લાગી આવતા તેણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઈંગ ડેકલેરેશન લેવામાં આવ્યું હતું તેમાં પણ ફરિયાદી યુવતીએ તેણીની ઉપર આરોપીએ કરેલ દુષ્કર્મ અંગેની હકીકત જણાવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલ સીઆરપીસી કલમ 164ના નિવેદનમાં પણ તેણીની ઉપર આરોપીએ કરેલ દુષ્કર્મ અંગેની હકીકત જણાવી હતી. બન્ને પક્ષે થયેલ દલીલના અંતે રાજકોટ સેશન્સ જજ ટી.એસ.બ્રહ્મભટ્ટએ આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા 50,000 રૂપિયાનો દંડ ફટકારેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશની વાળી વ્હાઈટ LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. વાહનમાં કંપની ફિટેડ સિવાયની સફેદ LED/HID લાઇટ લગાવેલી હશે તો દંડ, લાઇસન્સ સસ્પેન્ડ સાથે વાહન જપ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવા પણ વાહન-વ્યવહાર કમિશનરે સૂચના આપી છે. વ્હાઈટ LED લાઇટના કારણે અકસ્માતમાં વધારોગાંધીનગરથી વાહન-વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યભરના તમામ આરટીઓ અને ટ્રાફિક પોલીસને પત્ર લખી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, રાત્રિના સમયે સામે આવનારા વાહનચાલકોની આંખો પર ભારે અસર કરતી LED લાઇટ્સ ગંભીર અકસ્માતનું કારણ બની રહી છે. આવી લાઇટના કારણે ઘણીવાર ડ્રાઇવરની નજર થોડા સેકન્ડ માટે ખોવાઈ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પીળી લાઇટ તુલનાત્મક રીતે સુરક્ષિત પત્રમાં જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને રાત્રિના સમયે થતા અકસ્માતોમાં સફેદ LED લાઇટ મુખ્ય કારણ બની રહી છે. વ્હાઈટ LED લાઈટ વરસાદ અને ધુમ્મસમાં વધુ જોખમી સાબિત થાય છે. જ્યારે પીળી લાઇટ (Warm White/Yellow) તુલનાત્મક રીતે સુરક્ષિત માનવામાં આવે છે. તમામ જિલ્લાઓમાં સ્પે. ડ્રાઈવ શરૂ કરાશેરાજ્યમાં અગાઉ પણ આ મુદ્દે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં વાહનચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. હવે તમામ જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી આવા વાહનો સામે નિયમિત કાર્યવાહી કરાશે. ગેરકાયદેસર LED લાઇટ દૂર કરાવાશે અને જરૂર પડ્યે વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. ડીલરોને પણ પ્રતિબંધીત લાઈટ ન લગાવવા આદેશવાહન-વ્યવહાર વિભાગે ડીલરોને પણ ચેતવણી આપી છે કે, કોઈપણ નવા કે જૂના વાહનમાં અનધિકૃત વ્હાઈટ LED લાઇટ ફીટ ન કરવામાં આવે. જો ડીલર દ્વારા નિયમોનો ભંગ થતો જણાશે તો તેમના પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે વાહનોમાં LED લાઇટ લગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ટૂ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર હોય, એમાં આંખો આંજી નાખતા તીવ્ર પ્રકાશવાળી લાઇટ લગાવેલી હોય છે, જે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. LEDનો ત્રાસ ફક્ત શહેરો પૂરતો જ મર્યાદિત નથી, હાઇવે પર પણ આવાં વાહનો જોવા મળે છે, જેના કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે. આવી લાઇટ કાયદેસર છે કે ગેરકાયદેસર? એના માટે શું નિયમો છે? તમારા વાહનમાં આવી લાઇટ હોય તો તમારી સામે શું કાર્યવાહી થઇ શકે? આવા તમામ સવાલોના જવાબ સરળ ભાષામાં અહીં તમને મળશે. દિવ્ય ભાસ્કરે આ સળગતા મુદ્દા અંગે એક વર્ષ પહેલાં અમદાવાદના આરટીઓ અધિકારી જે.જે.પટેલ સાથે વાત કરી હતી. આ ઉપરાંત રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રી અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ અમદાવાદ ઓપ્થેમોલોજિકલ સોસાયટીના વાઇસ-પ્રેસિડન્ટ ડૉ. આશિષ ભોજક સાથે વાત કરી હતી. સફેદ લાઇટ અને એના નિયમો વિશે આજથી એક વર્ષ પહેલાં અમદાવાદના આરટીઓ અધિકારી જે. જે. પટેલે કહ્યું હતું કે, આવી લાઇટના કારણે જો કોઇ અકસ્માત થાય તો જે વાહનમાં આ લાઇટ લાગેલી છે એનું રજિસ્ટ્રેશન કેન્સલ થઇ શકે છે. સવાલઃ વાહનમાં લગાવાતી સફેદ લાઇટ અંગેના શું નિયમો છે?જવાબઃ કંપનીએ વાહનમાં જે લાઇટ લગાવીને આપી હોય એના સિવાય મોડિફાઇ કરીને અન્ય લાઇટ લગાવાય તો એ ગેરકાયદે છે અને ગુનો બને છે. સવાલઃ આવી લાઇટ પર ક્યારથી પ્રતિબંધ છે?જવાબઃ આના માટેનો નિયમ બનેલો જ છે. અગાઉ આવા કિસ્સા ઓછા બનતા હતા, પણ હવે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, એટલે છેલ્લાં 1-2 વર્ષથી વધુ કડક રીતે એનો અમલ થાય છે. લોકો એકસ્ટ્રા એસેસરીઝ લગાવતા હોય છે ત્યારે તેઓ આ પ્રકારની લાઇટ પણ લગાવે છે. સવાલઃ સફેદ લાઇટવાળા વાહન સામે શું પગલાં લેવાઇ શકે છે?જવાબઃ ઓછામાં ઓછો 1 હજાર રૂપિયાનો દંડ થાય છે. સ્થળ પર જ ચલણ અપાય છે. સવાલઃ શું વાહન જપ્ત થઇ શકે?જવાબઃ હા, વાહનમાં જો એવા ફેરફારો કર્યા હોય કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો બનતો હોય તો વાહન જપ્ત થઇ શકે છે. સવાલઃ કેવા સંજોગોમાં વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઇ શકે છે?જવાબઃ સફેદ LED લાઇટ એવી રીતે લગાવી હોય અથવા તો સફેદ LED લાઇટના કારણે જ અકસ્માત થયો હોવાનું તપાસમાં ખૂલે તો વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઇ શકે છે. સવાલઃ આવી લાઇટના કારણે અકસ્માત થઇ શકે?જવાબઃ હા, રાતના સમયે સામેથી આવતા વાહનમાં LED લાઇટ લગાવેલી હોય તો એનાથી બીજી તરફના વાહન ચલાવનારને દેખાય નહીં. આવી લાઇટના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે. RTO ઘણીવાર આ અંગે ડ્રાઇવ કરે છે. સામાન્ય રીતે રાતના સમયે ડ્રાઇવ કરે છે. સવાલઃ સફેદ લાઇટના કારણે શા માટે અકસ્માત થાય છે?જવાબઃ સફેદ લાઇટના કારણે સામેના વાહનચાલકની આંખો અંજાઇ જાય છે. આંખો અંજાઇ જવાથી તેની ડાબી અને જમણી બાજુએથી કયા વાહન પસાર થાય છે એનો ખ્યાલ નથી આવતો. આવી લાઇટની તીવ્રતાના કારણે અકસ્માત થાય છે. સવાલઃ ડ્રાઇવ દરમિયાન મોડિફાઇ કરેલી લાઇટની કેવી રીતે ઓળખ થાય છે?જવાબઃ આરટીઓની ટીમ સ્પેશિયલ કેસ કરે છે. LED લાઇટવાળા વાહનને દૂરથી જોયા બાદ એને ઊભું રખાય છે અને તપાસ કરાય છે કે એમાં મોડિફિકેશન કરાયું છે કે નહીં. જો મોડિફિકેશન કરાયેલું હોય તો તેને દંડ કરાય છે. સવાલઃ શું કંપની જ વાહનમાં આવી ગેરકાયદે લાઇટ લગાવે છે?જવાબઃ કંપનીને નિયમોની ખબર હોય છે. મેન્યુફેક્ચરિંગના સ્ટાન્ડર્ડ ફિક્સ છે. વાહન ખરીદ્યા બાદ લોકો ક્રેઝથી પ્રેરાઇને અથવા વાહનમાં કંઇક નવું કરાવવાની ઇચ્છાથી માર્કેટમાંથી મોડિફિકેશન કરાવે છે. સવાલઃ RTOને ફરિયાદો મળે છે?જવાબઃ ઇમેલ, વ્હોટ્સએપ મારફત ફરિયાદો મળી છે, જેના પછી કાર્યવાહી થાય છે. સફેદ લાઇટ અને એના કારણે આંખને થતી અસરથી શું થઇ શકે એ જાણવા માટે અમે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ અમદાવાદ ઓપ્થેમોલોજિકલ સોસાયટીના વાઇસ- પ્રેસિડન્ટ અને ડૉ. આશિષ ભોજક સાથે વાત કરી હતી. તેમણે આવી સફેદ લાઇટને આંખ માટે હાનિકારક ગણાવી હતી. સવાલઃ માણસની આંખ કેટલો પ્રકાશ સહન કરવાની શક્તિ ધરાવે છે?જવાબઃ માણસની આંખ 380થી 700 નેનો મીટર સુધીની લાઇટને ઓળખી શકે છે અને જોઇ શકે છે. એનાથી વધારે નેનો મીટરની લાઇટ આંખ માટે નુકસાનકારક છે. સવાલઃ માણસની આંખ ક્યારે અંજાઇ જાય?જવાબઃ 700 નેનો મીટરથી વધુની લાઇટ અચાનક આંખ પર આવે તો આંખ અંજાઇ જાય છે. સવાલઃ LED લાઇટથી શું થઇ શકે?જવાબઃ અત્યારે વાહનોમાં હાઇ ઇન્ટેન્સિટી બીમ લાઇટ હોય છે. જ્યારે રાત્રે અંધારામાં વાહન ચલાવતા હોઇએ છીએ ત્યારે અંધારામાં વધુ જોઇ શકાય એ માટે આપણી આંખની કીકી પહોળી હોય છે. સામેથી અચાનક તીવ્ર લાઇટ આપણી આંખ પર પડે તો કીકી સંકોચાય છે. આંખના પડદાના કોષો બ્લેન્ચિંગ ઇફેક્ટ આપે છે, જેના કારણે નિર્ણય લેવામાં આપણને થોડી સેકન્ડની વાર લાગે છે, જેના કારણે આંખને નુકસાન થવા ઉપરાંત અકસ્માતનો ભય પણ રહે છે. સવાલઃ સફેદ લાઇટ આંખ પર કેવી અસર કરે છે?જવાબઃ LED લાઇટમાં બ્લૂ લાઇટ આવે છે. એ આંખને નુકસાન પહોંચાડે છે. બ્લૂ લાઇટના કારણે આંખમાં ડ્રાયનેસ વધવાની શક્યતા છે. આવી લાઇટ અચાનક આંખમાં આવે ત્યારે પડદામાં રહેલા શંકુ આકારના અને નળાકાર કોષો કહેવાય છે એને અસર થાય છે. આ ઉપરાંત રસ્તા પર તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે. આવી લાઇટથી ઊંઘવાની ક્ષમતાને પણ અસર થાય છે. સવાલઃ આવા તીવ્ર પ્રકાશથી બચવા શું કરવું?જવાબઃ જેમ વ્હીકલના ટાયરનું એલાયનમેન્ટ કરીએ છીએ એમ લાઇટનું પણ એલાઇનમેન્ટ કરાવવું જોઇએ. વાહનમાં એવી રીતે લાઇટ લગાવવી કે જેનો પ્રકાશ સીધો રોડ પર જ વધુ પડે અને આંખમાં ન આવે. વાહનના મિરર પર એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ કરાવવું જોઇએ. એન્ટી ગ્લેર ગ્લાસીસ પહેરી શકાય. હેલ્મેટનો કાચ સાફ રાખવો જોઇએ, જેનાથી આંખ પર પડતી લાઇટ ફેલાય નહિ. આવું કરવાથી નિર્ણય લેવામાં મુશ્કેલી પેદા કરતો ઝળહળતો પ્રકાશ અટકાવી શકાય છે. સવાલઃ પ્રકાશથી બચવા માટે ઝીરો નંબરના બ્લૂ રે પ્રોટેક્શન ચશ્માં પહેરવાં જોઈએ?જવાબઃ આવા પ્રકાશને રોકવા માટે જે ચશ્મા પહેરાય છે એ ઘણા ફાયદાકારક છે. સવાલઃ વાહન ચલાવનારે બ્લૂ રે પ્રોટેક્શન ચશ્માં પહેર્યાં હોય તો શું એ તીવ્ર પ્રકાશથી બચી શકે?જવાબઃ આવાં ચશ્માં 6થી 8 કલાક સુધી સ્ક્રીન પર કામ કરવું હોય તો એમાં મદદરૂપ થઇ શકે. વાહનના તીવ્ર પ્રકાશથી બચવા માટે ગ્લાસીસ પર એન્ટી ગ્લેર કોટિંગ વધુ મદદરૂપ થઇ શકે. સવાલઃ આંખને થતાં નુકસાન સામે શું સાવધાની રાખવી?જવાબઃ દર 6 મહિને નિયમિતપણે આંખના ડોક્ટર પાસે તપાસ કરાવવી. સ્ક્રીન ટાઇમની લિમિટ રાખવી જોઇએ. મોબાઇલ વાપરતી વખતે એની ડિસ્પ્લે બ્રાઇટનેસ કન્ટ્રોલ રાખવી. આંખમાં ડ્રાયનેસ હોય તો ડોક્ટરની સલાહ મુજબનાં ટીપાં નાખવા જોઇએ. સવાલઃ ઘરમાં લાગતી LEDથી નુકસાન થાય?જવાબઃ ઘરમાં મોટે ભાગે LED લાઇટ સીલિંગ પર લગાવાય છે, જેના કારણે એ સીધી આંખ પર નથી આવતી. જે વસ્તુ જોવાની હોય છે એના પર જ પડે છે. આ લાઇટ લાંબો સમય સુધી આંખ પર પડે તો ડ્રાયનેસની તકલીફ થઇ શકે. સવાલઃ 20-20-20 રૂલ શું છે?જવાબઃ આંખના મસલ જ્યારે એક જ સ્થિતિમાં રહે, એક જ લાઇટમાં રહે ત્યારે આંખનો દુખાવો અને માથાનો દુખાવો થાય છે. સ્ક્રીન પર 20 મિનિટ કામ કર્યા પછી 20 ફૂટ અથવા 20 મીટર દૂરની વસ્તુ પર 20 સેકન્ડ સુધી જોવું જોઇએ. આવું કરવાથી આંખના સ્નાયુને રાહત મળે છે અને ડ્રાયનેસ અટકાવી શકાય છે. રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રી કહે છે, ઘણી જગ્યાએથી અમને આવી સફેદ લાઇટ વિરુદ્ધ ફરિયાદો મળે છે. અલગ અલગ કંપનીઓ, સંસ્થાઓમાંથી આવી સફેદ લાઇટ બંધ કરાવવાની માગ થાય છે. સવાલઃ વાહનમાં કઇ લાઇટ કાયદેસર છે અને કઇ લાઇટ ગેરકાયદે છે?જવાબઃ હેડ લાઇટ, ટેલ લાઇટ, બ્રેક લાઇટ, સાઇડ લાઇટ અને ફોગ લાઇટ લગાવેલી હોય તો ઓ કાયદેસર છે. આ સિવાય લગાવેલી તમામ લાઇટ ગેરકાયદે છે. ઓ ન લગાડી શકાય. સવાલઃ માર્કેટમાં મળતી સફેદ લાઇટ લગાવી શકાય?જવાબઃ ના, ન લગાવી શકાય. વાહન લીધા પછી માર્કેટમાં જઈને જે સફેદ લાઈટ લગાવાય છે ઓ ગેરકાયદે છે. આ મોટર વ્હીકલ એક્ટનો ભંગ છે. સવાલઃ કંપની જે સફેદ લાઇટ લગાવીને આપે છે ઓ કાયદેસર છે કે ગેરકાયદે?જવાબઃ કંપની જે સફેદ લાઇટ લગાવીને આપે છે ઓ કાયદેસર છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા પછી જ કંપની આવી એસેસરીઝ લગાવે છે. કંપનીએ લગાવેલી કોઇ વસ્તુ ગેરકાયદે હોવાની શક્યતા નથી. સવાલઃ સફેદ લાઇટ શા માટે અકસ્માતનું કારણ બને છે?જવાબઃ નવાં વાહનોમાં જે સફેદ લાઇટ આવે છે એ રાત્રે ગ્લેર કરે છે. સવાલઃ સફેદ લાઇટ આંખમાં પડવાના કારણે અકસ્માતની શક્યતા કેટલી વધી જાય છે?જવાબઃ સફેદ લાઇટનો પ્રકાશ આંખમાં પડવાથી આંખો અંજાઇ જાય છે. પીળી લાઇટનો પ્રકાશ આંખમાં પડ્યા પછી તરત જ દૃશ્ય સ્પષ્ટ થઇ જતું હતું, પરંતુ સફેદ લાઇટના કારણે આંખમાં અંધારપટ લાંબો સમય રહે છે. સફેદ પ્રકાશ આંખમાં પડવાથી વાહન ચાલકને પોતાનો આગળનો રસ્તો દેખાતો નથી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. સવાલઃ સફેદ લાઇટવાળાં વાહનો સામે કોણ કાર્યવાહી કરી શકે?જવાબઃ ટ્રાફિક-પોલીસ અને આરટીઓ કાર્યવાહી કરી શકે છે.
સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના જુનાગામના ડેરી ફળીયામાં તાજેતરમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ખાતા નંબર 101 વાળી જમીન પર બનેલા રૂમ નંબર 1માં 32 વર્ષીય શેરાસિંગ હરભજનસિંગ મૃત હાલતમાં મળી આવ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવકનું મોત કુદરતી નહીં પણ ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું હતું. હજીરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 2 આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક અને બંને આરોપીઓ એક જ રૂમમાં રહેતા હતાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક શેરાસિંગ અને બંને આરોપીઓ સરબજીત સિંગ કુલવંત સિંગ (ઉ.વ. 33) તથા અમરીક સિંગ સુબેક સિંગ (ઉ.વ. 30) એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા. આ 3 વ્યક્તિઓ મૂળ પંજાબના વતની હતા અને અહીં રિગર તરીકે સાથે નોકરી કરતા હતા. એક જ સ્થળે રહેતા અને સાથે કામ કરતા હોવા છતાં તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો, જે અંતે જીવલેણ સાબિત થયો. જમવાનું બનાવવા મામલે બોલાચાલી બાદ જીવલેણ હુમલોહત્યા પાછળનું મુખ્ય કારણ ખૂબ જ નજીવી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉથી જ જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતમાં જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભોજન રાંધવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બંને મિત્રોએ શેરાસિંગ પર જીવલેણ હુમલો કર્યો હતો. શેરાસિંગને બેરહેમીથી માર માર્યા બાદ ગળું દબાવ્યું હતુંઆરોપીઓએ પહેલા શેરાસિંગને બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવી દીધું હતું. આટલેથી ન અટકતા તેઓએ યુવકનું માથું જોરથી દીવાલ સાથે અથડાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ પોલીસની પકડથી બચવા માટે રૂમને તાળું મારીને ફરાર થઈ ગયા હતા. તેઓ સુરત છોડીને પોતાના વતન પંજાબ તરફ ભાગી ગયા હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને પંજાબથી દબોચ્યાહજીરા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરા ફૂટેજ તપાસ્યા અને સ્થાનિકોની પૂછપરછ કરી હતી. CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને શંકાસ્પદ આરોપીઓ પંજાબ તરફ ભાગ્યા હોવાના ચોક્કસ પુરાવા મળ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે પીછો કરીને પંજાબથી બંને હત્યારાઓ, સરબજીત સિંગ અને અમરીક સિંગને દબોચી લીધા હતા. આરોપીઓની પકડ થતા જ સમગ્ર ગુનાનો પર્દાફાશ થઈ ગયો છે. આરોપીઓને પંજાબથી સુરત લાવવામાં આવ્યાહાલમાં હજીરા પોલીસે બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ જૂની અદાવત અને જમવા બનાવવાના વિવાદને કારણે જ શેરાસિંગની હત્યા કરી હતી. પંજાબથી પકડાયેલા આ શખસોને સુરત લાવવામાં આવ્યા છે અને તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હજીરા પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે પરપ્રાંતિય શ્રમિકોમાં પણ પોલીસનો ડર અને કાયદાનું શાસન સ્થાપિત થયું હોવાનું જણાય છે. મૃતદેહના PM રિપોર્ટ અને FSL પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુઆ કેસમાં પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે હત્યામાં અન્ય કોઈ હથિયારનો ઉપયોગ થયો હતો કે કેમ. મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSLના પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. જમવા જેવી સામાન્ય વાતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા મૃતક શેરાસિંગના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો કેસમાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે, હાઇકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેથી કેસની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ. તે અંગ્રેજી ભાષા સિવાય અન્ય કોઈ ભાષામાં હોઈ શકે નહીં. અરજદારને ગુજરાતી ભાષામાં રજૂઆત કરવાની મંજૂરી ન અપાઈઆ કેસમાં અરજદારે એક પ્રમાણપત્રને પડકાર્યું હતું, જેમાં હાઇકોર્ટની સમિતિએ કોર્ટ સમક્ષ પક્ષકાર તરીકે તેના કેસની દલીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તે અંગ્રેજી ભાષામાં રજૂઆત કરવામાં અસમર્થ હતો. જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની બેંચે આ અરજી ફગાવી કાઢી હતી અને ઓગસ્ટ 2025માં હાઈકોર્ટ સમિતિ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રને સમર્થન આપ્યું હતું. જેમાં અરજદારને વ્યક્તિગત રીતે પોતાનો કેસ રજૂ કરવા માટે અક્ષમ જાહેર કરવામાં આવ્યો હતો. કારણ કે તે અંગ્રેજી ભાષામાં પોતાની વાત રજૂ કરવામાં અસમર્થ હતો. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે પ્રતિવાદીઓ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રમાં કોઈ ખામી નથી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે, કોઈપણ પણ પાર્ટી ઇન પર્સન તરીકે અંગ્રેજી ભાષા સિવાય કોર્ટમાં અન્ય કોઇ ભાષામાં સંબોધન કરી શકશે નહીં. ખાસ કરીને જ્યાં સુધી તેની યોગ્યતા સમિતિ દ્વારા પ્રમાણિત ન થાય. અરજદારને કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા નિર્દેશઆ કેસમાં પ્રતિવાદી સમિતિએ એવું પણ અવલોકન કર્યું છે કે, અરજદારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10ની છે. તે અંગ્રેજી ભાષા સમજી શકતો નથી. તે અંગ્રેજી ભાષામાં અભિવ્યક્તિ કરી શકતો નથી અને તેના વિચારો સ્પષ્ટ નથી. તે અંગ્રેજી ભાષામાં હકીકતો સમજાવી શકતો નથી અને તેથી તે કોર્ટને રૂબરૂમાં સંબોધી શકવામાં સક્ષમ નથી. તેથી આ તબક્કે તેને સૂચન કરવામાં આવે છે કે તે તેની પસંદગીના વકીલને રોકે અથવા હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરે.હાઇકોર્ટે અરજદારને હાલની અરજીમાં કાનૂની સહાય પૂરી પાડવા માટે હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાતી ભાષામાં કાર્યવાહી થાય તે માટે ભૂતકાળમાં વકીલોએ પણ રજૂઆત કરી હતીગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી ભાષા ઉપરાંત ગુજરાતીમાં પણ કાર્યવાહી થાય તેવી માગ છેલ્લા કેટલાક સમયથી વકીલો દ્વારા કરવામાં આવી છે. રાજ્યની અલગ અલગ બાર એસોસિએશન દ્વારા આ મામલે ઠરાવ પણ કરાયા હતા. જો કે, ગુજરાતી ભાષાને લઈને વકીલોમાં મતમતાંતર પણ જોવા મળ્યા હતા.
પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં પરણેલી એક દીકરીને અકસ્માત વીમા યોજના હેઠળ રૂ. 8,58,000ની સહાય મંજૂર કરવામાં આવી છે. લગ્ન સમયે દીકરીના ભવિષ્યની સુરક્ષા માટે લેવાયેલું આ વીમા કવચ અકસ્માતનો ભોગ બનેલા પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યું છે. ગત વર્ષે ખોડલધામ સંકુલ-સંડેર ખાતે યોજાયેલા પ્રથમ સમૂહલગ્ન લગ્નોત્સવ-2024માં ચોરી નંબર 31 પર પ્રભુતામાં પગલાં પાડનાર દીકરી મૈત્રી રુચિતકુમાર પટેલ (પીયર: સંખારી, સાસરી: કલ્યાણા) થોડા મહિના પહેલા અકસ્માતનો ભોગ બની હતી. આ મુશ્કેલ સમયમાં સમૂહલગ્ન સમિતિ દ્વારા દીકરીઓના નામે ઇન્ડિયન પોસ્ટની અકસ્માત વીમા યોજના હેઠળ લેવામાં આવેલું સુરક્ષા કવચ મદદે આવ્યું. આ આયોજન પાછળ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠનના કાર્યકરોની દીર્ઘદ્રષ્ટિ જવાબદાર છે. તેમણે સમૂહલગ્ન સમયે જ દરેક દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વીમા પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સામાન્ય રીતે સમૂહલગ્નોમાં જમણવાર અને કરિયાવર પર ભાર મૂકવામાં આવતો હોય છે, પરંતુ આ સંગઠને ટેકનિકલ સુરક્ષાને પ્રાથમિકતા આપી એક નવો રાહ ચીંધ્યો છે. રૂ. 8,58,000ની આ મોટી રકમ મળતા અકસ્માતનો ભોગ બનેલી દીકરીના પરિવારને આર્થિક ટેકો સાંપડ્યો છે. પાટણના આ સંગઠન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી અન્ય સામાજિક સંસ્થાઓ માટે પણ ઉદાહરણરૂપ બની છે. દાતાઓ દ્વારા આપવામાં આવેલા દાનનો ઉપયોગ દીકરીઓના જીવનની સુરક્ષા માટે કઈ રીતે થઈ શકે છે, તે આ ઘટનાએ સાબિત કર્યું છે. સંસ્થાની પારદર્શકતા અને દીર્ઘદ્રષ્ટિના કારણે દીકરીને સાસરે વળાવ્યા બાદ પણ તેની સામાજિક જવાબદારી નિભાવવામાં આવી છે. આ સુરક્ષા કવચને કારણે સંખારી અને કલ્યાણા પંથકમાં સંગઠનની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.પાટણ ધારાસભ્ય ડૉ કિરીટભાઈ પટેલ યુવા મંડળ ના પ્રમુખ સોહનભાઈ ઉપપ્રમુખ હાર્દિક અડીયા તથા કલ્યાણના ગામના વડીલો હાજર રહયા હતા વિશેષ પાટણ પોસ્ટ ઓફિસ ના સુપ્રિટેન્ડેન્ટ તથા અન્ય અધિકારી પણ હાજર રહ્યા હતા.
સેક્ટર-6બીમાં ભાડે રહેતા બુટલેગરે પોતાના મકાનને જ દારૂના ગોદામમાં ફેરવી નાખ્યું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકીને 150 નંગ દારૂ બિયરનો જથ્થો ઝડપી લઇ રૂ.94 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીની ટીમનો સેક્ટર-6 બીના પ્લોટ નંબર 657ના બીજા માળે દરોડોગાંધીનગરના સેક્ટર-6બીમાં ભાડે રહેતા બુટલેગરે પોતાના મકાનને જ દારૂના ગોદામમાં ફેરવી નાખ્યું હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ ડી.બી વાળાની ટીમને મળી હતી. જે બાતમીના પગલે એલસીબીની ટીમે સેક્ટર-6 બી પ્લોટ નંબર 657ના બીજા માળે દરોડો પાડ્યો હતો. મકાનના એક રૂમમાં 6 થેલામાંથી વિદેશી દારૂની બોટલો મળીત્યારે પોલીસને જોઇને ઉદયસિંહ ભુરાભાઈ સિસોદિયાના મોતિયા મરી ગયા હતા. બાદમાં પોલીસે તપાસ કરતા મકાનના એક રૂમમાંથી કપડાના 6 થેલા મળી આવ્યા હતા. જેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમકે કપડાના થેલાઓ ખોલતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની સીલબંધ બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. 94 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડજેની ગણતરી કરતા કુલ 150 નંગ બોટલ અને ટીનનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે પૂછતાછ કરતાં બુટલેગર ઉદયસિંહ સિસોદિયાએ કબૂલાત કરેલી કે, આ જથ્થો અઠવાડિયા પહેલા રાજસ્થાનના અજીત નામના શખ્સે પૂરો પાડ્યો હતો. જેના પગલે પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન મળીને 94 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઉદયસિંહની ધરપકડ કરી વોન્ટેડ આરોપી વિરુધ પણ સેકટર 7 પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની રાયસીંગપુરા પ્રાથમિક શાળામાં તાજેતરમાં ‘રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત’ વિષય પર એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર અને રાષ્ટ્રગીત ગાનની સાચી સમજ કેળવવાનો હતો. તા. 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ શિબિરમાં મહેલોલ રિસોર્સ ક્લસ્ટરના કો-ઓર્ડીનેટર ઇન્દ્રવદનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અખિલ ભારતીય સેવાદળ (બિનરાજકીય), વડોદરાના સંગઠક અને પ્રશિક્ષક વિનોદકુમાર મૂળજીભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા. વિનોદકુમાર પરમારે વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ અને તેની ગરિમા વિશે ઊંડાણપૂર્વક અને પ્રાયોગિક માહિતી પૂરી પાડી હતી. તેમણે ધ્વજવંદન વિધિ, ધ્વજ બાંધવાની પદ્ધતિ, ધ્વજવંદન સમયે રાખવી પડતી સાવચેતી અને શિસ્ત અંગે સમજૂતી આપી હતી. વિદ્યાર્થીઓને ધ્વજ કેવી રીતે બાંધવો અને સન્માનપૂર્વક કેવી રીતે લહેરાવવો તેની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પરમારે ભારતીય ત્રિરંગાના ઉદ્ભવ અને તેના ત્રણેય રંગોના મહત્વ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. રાષ્ટ્રગીત ગાતી વખતે રાખવી પડતી સાવધાની, તેનો લય અને ગાવાની સાચી પદ્ધતિ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. શાળાના શિક્ષક અને પ્રશિક્ષક કાર્યક્રમ સંયોજક શ્રી ડૉ. મહેન્દ્ર પરમારે રાષ્ટ્રગીત ગાવામાં થતી ક્ષતિઓ અને રાષ્ટ્રધ્વજ બાંધવા બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ચંદુભાઈ તાવિયાડે વિનોદકુમાર પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વ પૂર્વે મળેલી આ તાલીમથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનશે અને રાષ્ટ્રભક્તિનું મૂલ્ય સિંચન થશે. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દલપતસિંહ બારીયા, જતીનભાઈ પાઠક, ચંદ્રિકાબેન પરમાર, અને ધર્મિષ્ઠાબેન મહિડા સહિત શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)નો 45મો દીક્ષાંત સમારોહ યોજાયો. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર ગાંધીનગર કેમ્પસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઈસરોના ચેરમેન ડૉ.વી નારાયણ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેમનું આવવાનું રદ થતા વીડિયો મેસેજ આપીને ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે અતિથિ તરીકે હ્યુમન સ્પેશ ફ્લાઈટ સેન્ટરના ડિ.કે. સિંગ હાજર રહ્યાં હતા. NIDના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે કહ્યું કે, આ વખતે અમે અમારા ગાંધીનગરના કેમ્પસમાં કોન્વોકેશનનું આયોજન કર્યું છે. આ વખતે માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં 355 વિદ્યાર્થીઓ, બેચલર ડિગ્રી પ્રોગ્રામમાં 187 અને 1 પી.એચડીના વિદ્યાર્થીને ડિગ્રી એનાયક કરવામાં આવી છે. જેમાં 56% ફિમેલ અને 44% મેલ વિદ્યાર્થીઓ છે. બે વિદ્યાર્થીઓને પ્રાઈડ NID એવોર્ડ આપવાનું નક્કી કર્યુંમહત્વનું છે કે, ગત વર્ષથી NIDએ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ પૈકી દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર બે વિદ્યાર્થીઓને પ્રાઈડ NID એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે, જેમાં આ વર્ષે ડેવિડ અબ્રાહમ કે જેઓ દિલ્હીમાં રહે છે અને ટેક્સટાઈલમાં તેમણે ગ્રેજ્યુએશન કર્યું હતું. એટલું જ નહીં તેમણે દેશ વિદેશની ફેશન ડિઝાઈન ઈન્ડસ્ટ્રીમાં પોતાનું યોગદાન આપ્યું છે. જ્યારે બીજો એવોર્ડ કે.બી જીનને આપવામાં આવ્યો હતો. તેમણે ક્રિએટીવીટી અને ડિઝાનમાં ખૂબ જ મોટું યોગદાન આપેલું છે.
ગાઝાની સવાર સૂરજના કિરણોથી નહીં, પણ ધૂળની ડમરીઓ અને ભૂખ્યા પેટમાંથી નીકળતા ગુડ-ગુડ અવાજથી પડે છે. જ્યાં ક્યારેક બાળકોનો કલરવ ગુંજતો હતો, ત્યાં આજે માત્ર તૂટેલી ઈમારતોના હાડપિંજર અને કોંક્રિટના કાટમાળ નીચે દબાયેલી ચીસોનું સામ્રાજ્ય છે. આખું શહેર જાણે એક વિશાળ કબરસ્તાનમાં ફેરવાઈ ગયું હોય તેવી ભયાનક શાંતિ અહીં પથરાયેલી છે. લાખો લોકો પ્લાસ્ટિકના તંબુઓમાં, ભૂખ અને ભયના ઓથાર હેઠળ શ્વાસ લઈ રહ્યા છે. તેમને આશા છે કે આવતીકાલની સવાર તેમના માટે એક જીવન લઈને આવશે. ગાઝા આજે માત્ર ભૂગોળનો ટુકડો નથી રહ્યો, પણ માનવતાના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ બની ચૂક્યું છે…. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેરાન થયેલી ગાઝા પટ્ટીને ટેન્ટ સિટીમાંથી સ્માર્ટ સિટી બનાવવા માટે એક પીસ પ્લાન તૈયાર કર્યો છે. જેને ગાઝા બોર્ડ ઓફ પીસ પ્લાન કહેવામાં આવી રહ્યો છે. પણ વિકાસ એમને એમ ન થાય તેમાં જોઈએ અર્થ અને તેના માટે જ ટ્રમ્પે લગભગ 60 જેટલા દેશોને આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. જેમાં ભારત, પાકિસ્તાન સહિત અનેક દેશો છે. ગાઝાનું ડેવલોપમેન્ટ બોર્ડ દેશોના મેમ્બરશીપ ફી પર ટકેલું છે કારણ કે જેમને આમંત્રણ મોકલવામાં આવ્યા છે તે તમામ દેશો પાસેથી અંદાજે 9 હજાર કરોડ રૂપિયા વસૂલવાનો ટ્રમ્પનો પ્લાન છે. આ યુનાઈટેડ નેશન્સને લાત મારીને ગાઝાને વિકસિત કરવાના પ્લાન માટે ટ્રમ્પે આમંત્રણ સાથે આડકતરી રીતે ધમકી પણ મોકલી છે. માટે જ આજે આપણે વાત કરીશું બોમ્બ ધમાકા બાદ રાખ થયેલા ગાઝાને ફરી જીવંત કરવાના ગાઝા બોર્ડ ઓફ પીસ પ્લાનની. અને તેનાથી આપણે એટલે કે ભારત અને તેના સામાન્ય નાગરિકોને શું? નમસ્કાર... બુધવારે દાવોસમાં યોજાયેલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે તે ગાઝાને રિવિયેરા બનાવશે. જી હાં! ગાઝા નીચે દબાયેલી હજારો લાશો પર લક્ઝરી રિસોર્ટ બનવાની તૈયારીઓ ટ્રમ્પે શરૂ કરી દીધી છે. આ માટે બોર્ડ ઓફ પીસમાં 20 મહત્વના મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. ગાઝાને બેઠું કરવા ટ્રમ્પનો પીસ પ્લાન આ યાદીમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશો સામેલ છે, જે વૈશ્વિક સમીકરણો બદલી રહ્યા છે. બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા 60 દેશોને આમંત્રણ અમેરિકા ચીન રશિયા ભારત ફ્રાન્સ બ્રિટન જર્મની સાઉદી અરેબિયા તુર્કી ઇઝરાયલ અત્યાર સુધીમાં 35 દેશોએ આમંત્રણ સ્વિકાર્યું છે અને ફ્રાન્સ, નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, સ્લોવાનિયાએ આમંત્રણ નકાર્યું છે. જો કે, ભારત, ચીન, રશિયા, બ્રિટન, જર્મની, જાપાન, ઈટાલી અને યુક્રેને હજુ સુધી મૌન સેવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, ગાઝા પીસ બોર્ડમાં જોડાવા માટે તગડી સભ્ય ફી ચૂકવવાની છે. સભ્ય ફી અને ઉઘરાણી અંગે પ્રતિક્રિયા અને તેનાથી પણ મહત્વની વાત, ટ્રમ્પ અને ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ પરમ મિત્ર છે. જ્યારે બોર્ડ ઓફ પીસ પ્લાન અને સમિટનું લિસ્ટ બન્યું ત્યારે સાઉદી અરેબિયા અને કતારના દેશોએ શરત મૂકી હતી કે અમે નેતન્યાહુ સાથે એક ટેબલ પર નહીં બેસીએ. કારણ કે જો આ બંને દેશોના નેતાઓ નેતન્યાહુ સાથે એક ટેબલ પર બેસીને હસતો ફોટો પડાવે તો તેમના પોતાના જ દેશમાં વિરોધ થઈ જાય. ટ્રમ્પ માન્યા અને નેતન્યાહુને આમંત્રણ ન આપ્યું. પણ નેતન્યાહુનું મોઢું ચઢ્યું તો ટ્રમ્પ મિત્રની જીદ આગળ નમ્યા અને ઈઝરાયલને પણ બોર્ડ સભ્ય બનવા માટે આમંત્રણ મળ્યું. ઈતિહાસના પાના ઉથલાવો તો ખબર પડે છે કે ગાઝા વિસ્તાર 4 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે જેમાં ફિલિસ્તિન એટલે કે પેલેસ્ટિનિયન્સ રહેતા હતા. હાલ ગાઝા ઈઝરાયલના કન્ટ્રોલમાં છે. ઈતિહાસ ગવાહ છે કે ગાઝા વિસ્તારમાં અહીં શાંતિ લાંબો સમય ટકી શકી નથી. ટૂંકમાં ગાઝા ત્યાં રહેતા લોકોનું હતું પણ ચાવી હંમેશા બીજા પાસે જ રહી છે. ગાઝાનાં ભાગ્યમાં અસ્થિરતા ગુજરાતી તરીકે સામાન્ય માણસ નફા-નુકસાનનું પહેલા વિચારે. તો આ બોર્ડમાં જોડાવાની કિંમત 1 અરબ ડોલર એટલે કે અંદાજે 8 હજાર 300 કરોડ ભારતીય રૂપિયા છે. આ કોઈ સરકારી ફંડ નહીં પણ ક્લબ ફી પ્રકારની અનેક દેશો પાસેથી ઉઘરાવવામાં આવતી રકમ છે. રૂપિયા આપો અને મધ્યપૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટ અને પાવર મેળવો. યુએનને બાયપાસ કરીને ટ્રમ્પે ઉભું કરેલું પે ટુ પે મોડલ. ચીન અને રશિયા માટે આ બોર્ડ ઓફ પીસમાં જોડાવું મજબૂરી છે કારણ કે જો તે નહીં જોડાય તો મધ્ય પૂર્વના તેલ અને વેપાર માર્ગો પર તેમનું વર્ચસ્વ ઓછું થઈ જશે. ટૂંકમાં આ ગ્લોબલ એક્સોર્શનથી અપાયેલી એક પ્રકારની પ્રોટેક્શન મની છે. પણ એક સવાલ થાય કે ગાઝા પટ્ટીના આટલા બુરા હાલ કર્યા કોણે, જવાબ છે હમાસને ખતમ કરવા માટે ઈઝરાયલે. હમાસ એટલે એક પેલેસ્ટાઈની કટ્ટરપંથી સશસ્ત્ર સંગઠન અને રાજકીય પક્ષ જે ગાઝામાં ઈઝરાયલના અસ્તિત્વનો વિરોધ કરે છે. ઈઝરાયલે આકાશ, જમીન અને જમીન અંદર એમ ત્રણેય જગ્યા પર હમાસ પર એવા હુમલા કર્યા કે ગાઝા હાલ તહેસનહેસ થઈ ગયું છે. જેની ચિનગારી 7 ઓક્ટોબર 2023ના લાગી જ્યારે હમાસે ઓપરેશન અલ અક્સા ફ્લડ લોન્ચ કરી ઈતિહાસમાં પહેલીવાર ઈઝરાયલની ધરતી પર સૌથી મોટી ઘૂસણખોરી કરી. જેમાં 1200 ઈઝરાયેલી માર્યા ગયા અને 250 જેટલાને બંધક બનાવી લેવાયા. ઈઝરાયલનો અહંકાર ઘવાયો અને નેતન્યાહુએ યુદ્ધ જાહેર કર્યું. ઓપરેશન આયર્ન સ્વોડ્સથી ઈઝરાયલે હમાસની 500 કિલોમીટર લાંબી ટનલ નેટવર્કને ધ્વસ્ત કરી. જમીન નીચે બોમ્બ ફૂટતા 60 ટકાથી વધુ ઈમારતો ધૂળ બની ગઈ. હમાસ ગલી અને ઘરોમાં સંતાયું તો ઈઝરાયલે ટેન્ક અને બુલડોઝરથી મકાનો જ સાફ કરી દીધા. ગાઝા ફરતે ઘેરાબંધીના કારણે ગાઝાનો શ્વાસ રુંધાયો અને હાલની સ્થિતિએ ગાઝા રહેવાલાયક નથી રહ્યું. UNનો રિપોર્ટ એવું કહે છે કે, ‘ગાઝામાં 40થી 60 મિલિયન ટન કાટમાળ છે, જેને સલામત રીતે હટાવવા 15થી 20 વર્ષનો અંદાજ મૂકવામાં આવ્યો છે’. જો ટ્રમ્પનો પ્લાન સફળ જશે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહુની સરકારને ખતરો છે. નેતન્યાહુના સહયોગીઓ જેવા કે બેઝાલેલ સ્મોટ્રિચ અને ઈટામર બેન-ગવીરએ આ મામલે બળવો કરી દીધો છે કે ઈઝરાયલ ગાઝા પ્લાનમાં જોડાશે તો સરકાર પલટાવી દેશું. એટલે નેતન્યાહુ અત્યારે સુડી વચ્ચે સોપારી છે. એક બાજુ જીગરજાન દોસ્ત ટ્રમ્પ છે અને બીજી બાજુ તેના જ પક્ષ અને દેશના લોકો છે. ફ્લેશબેકથી નીકળીને વર્તમાનમાં આવીએ તો ભારત પાસે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકાના આમંત્રણને સ્વિકારવું કે નહીં. જો સ્વિકારવામાં આવે તો આશરે 9 હજાર કરોડ રૂપિયા આપવા પડે અને ન સ્વિકારીએ તો ભવિષ્યમાં માથાફરેલા ટ્રમ્પના ઈગોના કારણે ભારતને ઘણું આર્થિક નુકસાન થાય એમ છે. જોડાશું તો મીડલ ઈસ્ટ વિસ્તારના નિર્ણયોમાં આપણે કી પ્લેયર બની શકીશું અને ન જોડાઈએ તો ટ્રમ્પ ટેરીફ માટે તૈયાર રહેવું પડશે. ભારતે હાલ ગાઝા બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. વસુધૈવ કુટુંબકમમાંથી વસુધૈવ બિઝનેસિઝમ કરવું કે નહીં તે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિદેશ નીતિના હાથમાં છે. અને છેલ્લે... આપને જાણીને નવાઈ લાગશે પણ ગાઝામાં એક ગાઝા વોર સિમેટ્રી આવેલી છે. જ્યારે પહેલું વિશ્વ યુદ્ધ થયું ત્યારે બ્રિટિશ સેના તરફથી ભારતીય સૈનિકો પણ ઓટોમન સામ્રાજ્ય સામે લડ્યા હતા અને લોહી અને જીવ ગુમાવ્યો હતો. આ કબ્રસ્તાનમાં અંદાજે 900 જેટલા ભારતીય સૈનિકોની સમાધી છે. જેમાં હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા ધર્મના સૈનિકો છે. એવામાં જ્યારે ગાઝામાં બોમ્બમારો થાય છે ત્યારે ગાઝાના એ ખુણે ભારતીય શહીદોની સમાધી સુધી પણ ધ્રુજારી પહોંચે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
ગાંધીનગર જિલ્લામાં પ્રજાના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને સાંભળીને વહીવટી તંત્ર દ્વારા મોટાભાગના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 16 અરજીઓ રજૂ કરાઈગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 16 જેટલી અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જે પૈકી વહીવટી તંત્ર દ્વારા 14 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ સ્થળ પર જ લાવવામાં આવ્યું હતું. બે પ્રશ્નો પેન્ડિંગ રાખી આગળની કાર્યવાહી કરવા સૂચનાટેકનિકલ અથવા નીતિવિષયક કારણોસર બાકી રહેલા 2 પ્રશ્નોને પેન્ડિંગ રાખી તેના પર આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં વહીવટી તંત્રના તમામ મહત્વના વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નિવાસી અધિક કલેક્ટર નિશા શર્મા, મુખ્ય જમીન સંપાદન અધિકારી અર્જુનસિંહ વણઝારા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અરજદારોની રજૂઆતો સાંભળી હતી. લાપરવાહી દાખવ્યા વગર કામગીરી પૂર્ણ કરવા સૂચનાઆ કાર્યક્રમ અંતગર્ત ડીડીઓએ અધિકારીઓને તાકીદ કરી હતી કે લોકોની પાયાની જરૂરિયાતો અને ફરિયાદો બાબતે કોઈપણ પ્રકારની લાપરવાહી દાખવ્યા વગર નિયમાનુસાર કામગીરી પૂર્ણ કરવી. ત્યારે લાંબા સમયથી વહીવટી પ્રક્રિયામાં અટવાયેલા પ્રશ્નોનો નિકાલ આવતા કાર્યક્રમમાં હાજર રહેલા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને યોજાતા આ કાર્યક્રમથી સામાન્ય નાગરિકોને સીધો ઉચ્ચ અધિકારીઓ સુધી પોતાના પડતર પ્રશ્નો રજૂ કરવાની તક મળે છે.
રાજ્યના નાગરિકો અને ખેડૂતોની સમસ્યાઓનો ત્વરિત અને સંવેદનશીલ ઉકેલ લાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી. જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણ, ડ્રેનેજ તથા કાંસમાં થયેલા અતિક્રમણ અને ગામોને જોડતા માર્ગો પરના અવરોધો દૂર કરવા માટે નાગરિકલક્ષી નિર્ણય લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ અપાયા. રાજ્ય સ્વાગતમાં 4,057 પ્રશ્નો પર કાર્યવાહી હાથ ધરાઈદર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ વખતે રાજ્ય સ્વાગતમાં 110 રજૂઆતો, જિલ્લા સ્વાગતમાં 1,492 અને તાલુકા સ્વાગતમાં 2,565 રજૂઆતો મળી કુલ 4,057 પ્રશ્નો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડભોઇમાં ખેડૂતો માટે સાઇફન બનાવવા આદેશડભોઇ નગરપાલિકાના ગટરના પાણીના કારણે 33 ખેડૂતોની અંદાજે 150 વીઘા ખેતીલાયક જમીનને નુકસાન થતું હોવાનું સામે આવતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે સાઇફન બનાવવા, એસ.ટી.પી. વ્યવસ્થિત રીતે કાર્યરત રાખવા અને લાંબાગાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક તંત્રને આદેશ આપ્યો. બોટાદમાં 500 વીઘા ડૂબતી જમીનનો તાકીદે ઉકેલબોટાદ જિલ્લામાં ગામ તળાવના પાળાની ઊંચાઈ વધારવાને કારણે 42 ખેડૂતોની આશરે 500 વીઘા જમીન ડૂબમાં જતી હોવાની રજૂઆત પર મુખ્યમંત્રીએ ખેડૂત હિતમાં તાકીદે નિર્ણય લઈ સંબંધિત વિભાગોને રસ્તા સહિત સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવવાની સૂચના આપી. સુરતમાં નવા આવાસોને લીલી ઝંડીસુરત જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો ઉતારી લીધા બાદ નવા આવાસોના બાંધકામમાં વિલંબ અંગે લાભાર્થીઓની લાંબા સમયથી ચાલતી રજૂઆત પર મુખ્યમંત્રીએ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને ઝડપી બાંધકામ પ્રક્રિયા શરૂ કરવા દિશાનિર્દેશ આપ્યા. આ રાજ્ય સ્વાગત દરમિયાન મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર સહિત ખાસ ફરજ પરના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી સિહોરના શખસે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જીગર ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક વર્ષ પહેલા આરોપી અને ભોગ બનનાર સંપર્કમાં આવ્યા હતાભાવનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી પર દુષ્કર્મ આચરવાના કેસમાં સિહોરના જીગર ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. સિહોરનો જીગર અને પીડિતા એક વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવ્યા હતા. આરોપીએ વિશ્વાસ કેળવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઈભાવનગરના સીટી ડીવાયએસપી આર.આર સિંધાલ એ જણાવ્યું હતું કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમા હકીકત એવી છે કે, આ બનાવના મહિલા પોલીસ કર્મચારી છે, એ ઇન્સ્ટાગ્રામ તથા WhatsApp થી આરોપી જીગર ચાવડા સાથે પરિચયમાં આવ્યા હતા અને એકબીજા વાતચિત કરતા મિત્રતા કેળવી હતી. અને બાદમાં જીગર ચાવડાએ વિશ્વાસ કેળવી દુષ્કર્મ આચર્યું હોવા અંગે ફરિયાદ દાખલ થતા, આરોપી જીગર ચાવડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેમજ આરોપી ને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે. વધુમાં જણાવાયું કે, સોશિયલ મીડિયા થકી તે બંને છેલ્લા એક વર્ષથી કોન્ટેકમાં આવ્યા, અને બાદમાં બંનેની વચ્ચે મિત્રતા કેળવી, અને બાદમાં દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ કરેલ છે. આ બનાવ અંગે અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ, અને ભોગ બનનારના મેડિકલ તપાસ કરવામાં આવેલ છે. આરોપી જીગર ચાવડા જે સિહોરનો રહેવાસી છે, તેની અટક કરી મેડિકલ તપાસ કરવામાં આવશે, અને અન્ય પુરાવા પણ મેળવવામાં આવશે.
26 જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક દિન નિમિત્તે હોમગાર્ડ–બોર્ડર વિંગ હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળના 43 અધિકારી-સદસ્યોને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હાથે ચંદ્રક એનાયત કરવામાં આવશે. ડાયરેક્ટર જનરલ (સિવિલ ડિફેન્સ) અને હોમગાર્ડ-ગુજરાતના નિયંત્રણ હેઠળ કાર્યરત હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળ દ્વારા આપેલી ઉત્કૃષ્ટ સેવા, પ્રશંસનીય કામગીરી અને વિશિષ્ટ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવશે. આ ચંદ્રક માટે કુલ 43 અધિકારી-સદસ્યોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 25 હોમગાર્ડ, 3 બોર્ડર વિંગ હોમગાર્ડ, 5 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળના અધિકારી-સદસ્યોનો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક દિને યોજાનારા કાર્યક્રમમાં આ તમામ જવાનોને રાજ્યસ્તરે ગૌરવભેર સન્માનિત કરવામાં આવશે.
અમદાવાદમાં આવેલી ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવશે. આજે 22 જાન્યુઆરીના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 26,949 ચાલીઓમાં સ્ટ્રીટલાઈટના પોલ નાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં જે ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખી દેવામાં આવશે જેથી નાગરિકોને હાલાકી પડશે નહીં. 26 હજાર ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવાશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનમાં જે ચાલીઓ આવેલી છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી અને ગટરની સુવિધા આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કેટલીક ચાલીઓમાં લાઈટનો અભાવ હતો. ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 26949 જેટલી ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવામાં આવશે. જેથી ત્રણથી ચાર લાખ લોકોને ફાયદો મળશે. સ્ટ્રીટ લાઈટ પોલ નાખવા પાછળ રૂ. 2.5થી 3 કરોડના ખર્ચે લાઈટ નાખીને અજવાળું કરવામાં આવશે. મ્યુનિસિપલ આવેલી ચાલીઓ તથા ઝૂંપડાઓ, જ્યાં ગટર, પાણી અને રોડ જેવી પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવતી હોય અને તેઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય તેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા જનરલ બજેટમાંથી આપવામાં આવશે. જે ચાલી/ઝૂંપડાઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થશે. મોંઢાનાં કેન્સરની પ્રાથમિક સારવાર UHC પર થશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોંઢાનાં કેન્સરની પ્રાથમિક તપાસ થઈ શકશે. પ્રાથમિક સ્ટેજની માહિતી મળી શકે તેના માટે ઓરલ કેન્સર સ્કેનર મશીન મૂકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કેન્સર અંગેની પ્રાથમિક જાણકારી મળી રહે તેના માટેના ટુથબ્રશ જેવા ઓરલ કેન્સર સ્કેનર મશીન લગાવવામાં આવશે. રૂપિયા 15થી 20 લાખની કિંમતના 10 જેટલા આ મશીન મૂકવામાં આવશે જેથી હવે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર પણ આની તપાસ થઈ શકશે.
સાબરકાંઠા કોંગ્રેસે ગુરુવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને મતદારોના મતાધિકાર છીનવી લેવાના કથિત પ્રયાસો સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે SIRની કામગીરીના ભાગરૂપે દસ લાખથી વધુ ખોટા ફોર્મ ભરીને મતદારોના અધિકારો સમાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ, બંધારણે મતનો અધિકાર આપ્યો હોવા છતાં ભાજપ અને ચૂંટણીપંચની કથિત મિલીભગતથી આ અધિકાર ખતમ કરવાની પેરવી ચાલી રહી છે. આ અંતર્ગત, આશરે 10 લાખ જેટલા ખોટા ફોર્મ નંબર 7 ભરીને SIR ની કામગીરી કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે, જે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોક પટેલ, પ્રિયવદન પટેલ અને કુમાર ભાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો જરૂર પડશે તો આગામી સમયમાં ધરણાં-પ્રદર્શન અને મામલતદાર તેમજ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. આ ઉપરાંત, કોંગ્રેસે આ મામલે કોર્ટનો આશરો લેવાની પણ તૈયારી દર્શાવી છે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઓમનગર 40 ફૂટ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. કોઈ કારણોસર અચાનક પાઈપલાઈન ફાટવાને કારણે પાણીનો ફુવારો હવામાં ઉછળી રહ્યો હતો અને જોતજોતામાં જ આખા રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રની આ ગંભીર બેદરકારીને કારણે હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું હતું. જેને લઈને સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનો આક્ષેપ છે કે આવી ઘટનાઓ વારંવાર બનવા છતાં તંત્ર દ્વારા લાઈનોના મેઈન્ટેનન્સમાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જોકે આ અંગેની જાણ થતાં વોટર વર્ક્સ વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને પાણીની સપ્લાય અટકાવીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલમાં સારવારમાં બેદરકારીના કારણે દર્દીનું મોત થયાનો આરોપ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થવાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચ્યો છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાવલનગરમાં રહેતા 54 વર્ષીય રાકેશકુમાર કાંતિલાલ સિંધવાને આજે સવારે 6 વાગ્યા આસપાસ શ્વાસ ચડતા અને બેભાન થઈ જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. કેન્સરની બીમારી ધરાવતા રાકેશભાઈને ઇમરજન્સી વિભાગ બાદ ટીબીસીડી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના ભાઈ મુકેશભાઈએ આક્ષેપ કર્યો કે, જ્યારે દર્દીને હોસ્પિટલ લાવ્યા ત્યારે તેઓ બોલતા હતા, પરંતુ વોર્ડમાં લાવ્યા બાદ કોઈ ડોક્ટરે તત્કાલ સારવાર આપી ન હતી. લાંબો સમય કોઈ ડોક્ટર ન આવતા દર્દીનું શરીર ઠંડુ પડી ગયું હતું અને ત્યારબાદ ડોક્ટરોએ તપાસ કરતા તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે દેકારો મચાવ્યો હતો. મામલો ઉગ્ર બનતા કોર્પોરેટર અલ્પેશ મોરજરીયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ સુધી રજૂઆતો પહોંચી છે. જેને લઈ હાલમાં તબીબી અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટનો આજી ડેમ સૌની યોજનાથી 90% ભરાયો, ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે રાજકોટ શહેર માટે જીવાદોરી સમાન બનેલી સૌની યોજનાને કારણે પીવાના પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. રાજકોટના મુખ્ય જળાશયો આજી, ન્યારી અને ભાદર ડેમને વર્ષમાં અંદાજે 3 વખત સૌની યોજના મારફતે ભરવામાં આવતા હોવાથી ચોમાસા સુધી પાણીની તંગી રહેતી નથી. હાલમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ રાજકોટ મહાનગરપાલિકાની માંગણી મુજબ સિંચાઇ વિભાગ દ્વારા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ભરશિયાળે જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર આજી-1 ડેમની સપાટી હાલ 27.50 ફૂટે પહોંચી છે અને ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. હવે આ ડેમ છલકાવવા માટે માત્ર 1.5 ફૂટનું જ છેટું બાકી રહ્યું છે, જે ચાલુ મહિનાના અંત સુધીમાં છલકાઈ જવાની શક્યતા છે. અત્યાર સુધીમાં આજી-1 ડેમમાં 425 MCFT પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ ન્યારી-1 ડેમ પણ 60 ટકા ભરાઈ ગયો છે અને તેની સપાટી 20 ફૂટે પહોંચી છે, જેમાં અત્યાર સુધી 200 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે. આગામી 15 દિવસ સુધી નર્મદાના નીર છોડવાનું ચાલુ રાખવામાં આવશે, જેનાથી ઉનાળા સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં રહે. પ્રયાગરાજમાં શંકરાચાર્યનું અપમાન: રાજકોટના ભૂદેવો દ્વારા કલેક્ટરને રજુઆત કરી CM યોગીની માફીની માંગ કરાઈ પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે માઘ સ્નાન કરવા જઈ રહેલા જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ અને દંડી સ્વામી અપ્રમેયજીને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટ ખાતે પરમધર્મ સંસદ 1008ના હિરેન જોશી અને ભૂદેવોએ કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે માફીની માંગ કરી છે. આ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યો છે કે શંકરાચાર્યજી અને તેમના શિષ્યોને રસ્તામાં રોકી, 40થી વધુ અનુયાયીઓને ગેરકાયદેસર રીતે લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન શિષ્યો પર લાઠીચાર્જ કરી મહિલા સાધ્વીઓ સાથે અમાનુષી વર્તન કરાયું હતું. પરંપરાગત રીતે રાજા સુધન્વાના સમયથી ચાલ્યા આવતા શંકરાચાર્યજીના છત્ર, છડી અને પાદુકાનું અપમાન કરી છત્ર તોડી નાખવામાં આવતા સનાતની પરંપરાનું હનન થયું હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. હિન્દુ સમાજમાં વ્યાપેલો આક્રોશ શાંત કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ક્ષમા યાચના કરે અને શંકરાચાર્યને સન્માનપૂર્વક ગંગાસ્નાન કરાવી પ્રાયશ્ચિત કરે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. નવા બાંધકામના બહાને મિલ્કતોને સીલ ખોલીવાનું કારસ્તાન ખુલતા પ્લાન રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે રાજકોટ મનપા દ્વારા હાલ વેરા વસુલાતની કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં બાકીદારોની મિલકતો સીલ કરવાની કામગીરી વેગીલી બની છે. જોકે, તંત્રના ધ્યાન પર આવ્યું છે કે આશરે 24 જેટલા કિસ્સાઓમાં મિલકત ધારકોએ તંત્રની મંજૂરી વગર જ બારોબાર સીલ ખોલી નાખ્યા છે. ખાસ કરીને વધારાના બાંધકામ કરવા અથવા બાંધકામમાં ફેરફાર કરવાના બહાને નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તંત્ર દ્વારા મિલકત જપ્તી અને હરાજી જેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેમાં હાલ દરરોજ 25થી 30 મિલકતો સીલ કરાઈ રહી છે. નિયમ મુજબ સીલ થયેલી મિલકતમાં કોઈ પ્રકારના સુધારા-વધારા કરી શકાતા નથી અને તેના માટે સંપૂર્ણ વેરો ભરી મંજૂરી લેવી ફરજિયાત છે. વેરા વિભાગ હવે આવી મિલકતોનો સર્વે કરશે અને જેમના સીલ ખુલી ગયા હશે તેમની વિરૂધ્ધ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે મિલકત ધારકોએ જાતે સીલ તોડી બાંધકામ શરૂ કર્યું છે, તેમની વિરૂધ્ધ ટીપી વિભાગમાં નોંધ કરાવી કડક પગલાં લેવાશે. બિલ્ડરો દ્વારા જો પ્લાન મુજબ બાંધકામ નહીં હોય તો તેમના પ્લાન રદ કરવા સુધીની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.
હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુરુવારે બપોરે નાગરિક બેંકના સભાખંડમાં ચૂંટાયેલા 13 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ પદો માટે પસંદગી કરાઈ હતી. બેંકની 13 બેઠકો માટેની ચૂંટણી 11 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. ત્યારબાદ, વર્ષ 2026-28 (અઢી વર્ષ)ની પ્રથમ ટર્મ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા 22 જાન્યુઆરી 2026ના રોજ હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દિલીપકુમાર જયંતિલાલ શાહને બેંકના ચેરમેન અને જીતેન્દ્રકુમાર નાથાભાઈ પટેલને વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટરો અને સ્ટાફ મિત્રોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડો. વાગીશકુમાર મહારાજના મંગલમય ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર - પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે. આ દિવ્ય ત્રિ-દિવસીય પ્રસંગોમાં તા. 23 જાન્યુઆરી, શુક્રવારના રોજ છપ્પનભોગ, તા. 24 જાન્યુઆરી, શનિવારના રોજ હોલી રસિયા અને તા.25 જાન્યુઆરી, રવિવારના રોજ ડો. વાગીશકુમાર મહારાજનો અભિવાદન સમારોહ તેમજ તેમના વચનામૃતનો દ્વારકાધીશ મંદિર રાયપુર ચકલા, અમદાવાદ ખાતે લાભ મળશે.
સુરતના ઉમરા વિસ્તારમાં બે બાળકોના અપહરણ અને જાતીય સતાણમી મામલે ઝડપાયેલા ટેક્સટાઈલ કંપનીના મેનેજર હર્ષ શેઠની પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. હર્ષ ભૂતકાળમાં અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ડ્ર્ગ્સની લતના કારણે અઢી મહિના રિહેબ સેન્ટરમાં રહ્યો હતો અને છ મહિના પહેલા જ બહાર આવ્યો હતો. 20 તારીખે જ્યારે પોતાની લકઝરી કારમાં જ્યારે બે બાળકોનું અપહરણ કરાયું ત્યારે પણ કારમાં ડ્રગ્સ લેવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. જો કે, બાળકોએ બૂમાબૂમ કરતા શંકાસ્પદ સિરિંજ રસ્તા પર ફેંકી દીધી હતી. જે કબજે કરી તપાસ માટે FSLમાં મોકલવામાં આવી છે. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શું છે બાળકોના અપહરણનો મામલો?મંગળવારે રાત્રે 9:30 થી 10:30ના સમયગાળામાં હર્ષે શ્રમજીવી પરિવારના 11 અને 13 વર્ષના બે સગીરોને પોતાનો શિકાર બનાવ્યા હતા. તેણે બાળકોને ઘરે સફાઈ કરવાના બહાને બોલાવ્યા અને ચોકલેટ તથા લક્ઝરી કારમાં ફરવાની લાલચ આપી હતી. માસૂમ બાળકો તેની વાતોમાં આવી જઈને કારમાં બેસી ગયા હતા. હર્ષ તેમને ઉમરાના અવાવરુ સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકોની છેડતી અને જાતીય સતામણી કરવાનો પ્રયાસ કરીને માનવતા નેવે મૂકી દીધી હતી. જ્યારે હર્ષે કારમાં બાળકોની જાતીય સતામણી શરૂ કરી, ત્યારે બાળકોએ હિંમત હાર્યા વગર જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બાળકોનો પ્રતિકાર જોઈને આરોપી ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરે તેમને પાછા છોડવા માટે નીકળ્યો હતો. બીજી તરફ બાળકો ગુમ થતા વાલીઓએ શોધખોળ શરૂ કરી હતી. જ્યારે આરોપી બાળકોને સોસાયટી પાસે ઉતારવા આવ્યો ત્યારે જાગૃત નાગરિકો અને પોલીસે તેને કોર્ડન કરીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આ મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે.એ. રાઠવાએ તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી હર્ષ શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીની કાર પણ કબજે કરી લીધી છે, જેમાં આ ગંભીર કૃત્ય આચરવામાં આવ્યું હતું. કોર્ટમાં રજૂ કરાતા હર્ષના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બાળકોના અપહરણ બાદ કારમાં ડ્રગ્સ લેવાનો પ્રયાસ કર્યો?બાળકોના અપહરણ કેસમાં તપાસ કરી રહેલી સુરતની ઉમરા પોલીસે ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ સિરિંઝ મળી આવી છે. જે ડ્રગ્સની હોવાની આશંકા છે. હર્ષે જ્યારે બે બાળકોનું અપહરણ કર્યું ત્યારે કારમાં આ સિરિંઝ કાઢી હતી. પરંતુ, બાળકોએ બૂમાબૂમ કરતા હર્ષે ગભરાઈને ઉમરાના સત કેવલ ચોક પાસે ફેંકી દીધી હતી. જે પોલીસે કબજે કરી તપાસ માટે FSLમાં મોકલી આપી છે. રિપોર્ટમાં ડ્રગ્સની હાજરી સાબિત થશે તો NDPSનો અલગથી ગુનો નોંધાશેઆરોપી હર્ષ શેઠના શરીરમાં કયા પ્રકારના નશાકારક દ્રવ્યો હતા તે જાણવા માટે પોલીસે તેના બ્લડ સેમ્પલ પણ લીધા છે. ડિવાઈડર પરથી મળેલી સિરીંજ અને લોહીના નમૂનાઓને એફએસએલ મોકલવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રિપોર્ટમાં ડ્રગ્સની હાજરી સાબિત થશે તો આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવશે. આ વૈજ્ઞાનિક તપાસ દ્વારા આરોપીને સખત સજા અપાવવા માટે પોલીસ અત્યારે મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે. અઢી મહિના રિહેબ સેન્ટરમાં રહ્યો, 6 મહિના પહેલા બહાર આવ્યોઆરોપી હર્ષના ભૂતકાળની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, તે ડ્રગ્સની લત છોડાવવા માટે બારડોલીના એક રિહેબિલિટેશન સેન્ટરમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યો હતો. તે માત્ર છ મહિના પહેલા જ આ નશામુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. રિહેબમાંથી નીકળ્યા બાદ તેણે એક મહિના પહેલા જ સચિન જીઆઈડીસીની ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી શરૂ કરી હતી. પરંતુ, નશાની ગર્તામાં ધકેલાયેલો હર્ષ ફરીથી ગુનાખોરીના રસ્તે ચડી ગયો અને નિર્દોષ બાળકોને પોતાનો ટાર્ગેટ બનાવ્યા. આરોપીનો ગુનાહિત ઇતિહાસપોલીસ રેકર્ડ મુજબ હર્ષ શેઠ સામે ભૂતકાળમાં બે મારામારીના ગંભીર કેસો, ચેઈન સ્નેચિંગ અને પ્રોહિબિશન હેઠળના ગુનાઓ નોંધાયેલા છે.તેની સતત વધતી ગુનાખોરીને રોકવા માટે ઉમરા પોલીસે અગાઉ તેની સામે તડીપારની કડક કાર્યવાહી પણ કરી હતી. ડીસીપી નિધિ ઠાકુરએ જણાવ્યું હતું કે, ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 જાન્યુઆરીની રાત્રે એક ઘટના બની હતી.જેમાં હર્ષ વિશાલકુમાર શેઠ નામના વ્યક્તિએ 11 વર્ષ અને 13 વર્ષની વયના બે બાળકોને કંઈક ખાવા-પીવાની લાલચ આપી અથવા ઘરમાં કામ કરાવવાનું કહીને કાળા રંગની ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. જેવી આ બાબતની જાણ પોલીસને થઈ, ઉમરા પોલીસ તુરંત સક્રિય થઈને બાળકોની શોધખોળ હાથ ધરી હતી અને આ આરોપીની ધરપકડ કરી બંને બાળકોને હેમખેમ છોડાવી તેમના માતા-પિતાને સોંપી દીધા હતા. આ આરોપીનો ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, જેમાં તે પ્રોહિબિશન એક્ટ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને અગાઉ તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. હાલ આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવીને પોલીસ કસ્ટડીમાં આગળની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ડ્રગ એડિક્શનની આદત ધરાવે છે અને તે અગાઉ રિહેબ સેન્ટરમાં પણ રહી ચૂક્યો છે. અંદાજે 6 મહિના પહેલા તે લગભગ બે-અઢી મહિના સુધી રિહેબ સેન્ટરમાં રહ્યો હતો. આ મામલે જો અન્ય કોઈ નવી વિગતો પ્રકાશમાં આવશે તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા ત્રણ IAS અધિકારીઓને ટ્રાન્સફર અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને વડોદરા ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા છે. જ્યારે તેમની જગ્યાએ અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ નાગરાજનને સુરત મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે એમ. નાગરાજનની જગ્યાએ ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. રાજેન્દ્ર કુમારને અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ-Cમાં આજે સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ રહી છે. જેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ પહેલી ઇનિંગમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જવાબમાં પંજાબ ટીમ પણ ટકી શખી નહોતી અને માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સૌરાષ્ટ્રને પહેલી ઇનિંગમાં 33 રનની લીડ મળી હતી. આજની મેચમાં જેમના પર સૌ કોઈની નજર હતી તેવા ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ કોઈ ખાસ પર્ફોમન્સ બતાવી શક્યા ન હતા. શુભમન ગિલ 2 બોલ રમી 0 રનમાં આઉટ થઇ ગયો હતો. જયારે રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં 6 બોલમાં 7 રન અને બોલિંગમાં 12 ઓવરમાં 48 રન આપી 2 વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ પાર્થ ભૂતે 12 ઓવરમાં 33 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ ટીમ સૌરાષ્ટ્રએ 3 વિકેટ ગુમાવી 24 રન બનાવ્યા છે. આ પીચ સ્પિનર્સને મદદરૂપ બની છે. સૌરાષ્ટ્ર અને પંજાબ, બન્ને પહેલા દિવસે જ ઓલઆઉટરાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી રણજી ટ્રોફીની મેચ સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે શરૂ થઇ છે. જેમાં સૌરાષ્ટ્રએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી 47 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના જય ગોહિલે સૌથી વધુ 117 બોલમાં 82 રન બનાવ્યા હતા. તો પ્રેરક માંકડએ 32 રન બનાવ્યા હતા અને રવીન્દ્ર જાડેજાએ માત્ર 7 રન બનાવ્યા હતા. આ મેચમાં સૌથી વધુ 6 વિકેટ પંજાબના હરપ્રીત બ્રારએ 18 ઓવરમાં 38 રન આપી મેળવી હતી. સામે સૌરાષ્ટ્રના બોલરોએ પણ તરખાટ મચાવી માત્ર 139 રનમાં પંજાબ ટીમને પેવેલિયન તરફ ધકેલી દીધી હતી. કેપ્ટન શુભમન ગિલ બે બોલ રમી એક પણ રન બનાવી શક્યો ન હતો અને ઝીરો રનમાં પાર્થ ભૂતએ તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. આ ઉપરાંત કુલ 5 વિકેટ પાર્થ ભૂતએ મેળવી હતી. રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. તો કેપ્ટન જયદેવ ઉનડકટને એક વિકેટ મળી હતી. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 3 વિકેટ ગુમાવી, પહેલા જ દિવસે કુલ 23 વિકેટ પડીસૌરાષ્ટ્રનો બીજો દાવ 4 વાગ્યે શરૂ થયો હતો આ પછી 4.30 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રની ટીમના 3 ખેલાડીઓ 24 રનમાં પેવેલિયન તરફ ધકેલાઈ ચુક્યા છે. આવતીકાલે સવારે ફરી સૌરાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરશે. હાલ બીજા દાવ દરમિયાન 57 રનની લીડ સાથે સૌરાષ્ટ્ર આગળ છે જો કે આ મેદાન પર સ્પિનર્સને મદદરૂપ વિકેટ હોવાથી સૌરાષ્ટ્રના સ્પિન ત્રિપુટીનો જાદુ પંજાબને ભારે પડી શકે છે. અર્પિત વસાવડાને 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા માટે મોમેન્ટો આપ્યુંસૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને આજે અર્પિત વસાવડાને તેમની 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા માટે અભિનંદન આપ્યા હતા. રણજી મેચ શરૂ થતા પહેલાં સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમની હાજરીમાં BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને BCCI એપેક્સ કાઉન્સિલ સભ્ય જયદેવ શાહે અર્પિતને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. જયદેવ શાહે જણાવ્યું હતું કે, ‘અર્પિત વસાવડા એક અસાધારણ ક્રિકેટર છે જેણે સતત બધી પરિસ્થિતિઓમાં એક વિશ્વસનીય બેટર તરીકે ટીમ માટે રમતો આવ્યો છે. અર્પિતની પ્રતિબદ્ધતા, શિસ્ત અને રમત પ્રત્યેના જુસ્સાએ તેમને અલગ પાડ્યો છે, જે ટીમના સાથી ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.’
હિંમતનગરમાં બાઈક ચોર ગેંગના 5 સભ્યો ઝડપાયા:પૂછપરછમાં ₹6.60 લાખના 10 ચોરાયેલા બાઈક કબજે કરાયા
સાબરકાંઠા LCBએ હિંમતનગરના ગામડી હાઈવે પરથી બાઈક ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹6.60 લાખની કિંમતના 10 ચોરાયેલા બાઈક કબજે કરવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનનો એક શખ્સ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલું બાઈક લઈને અન્ય ચાર સાગરીતો સાથે હિંમતનગર તરફ વધુ ચોરી કરવા આવી રહ્યો છે. આ બાતમીના આધારે LCB એ ગામડીની સીમમાં વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમિયાન બે બાઈક પર આવી રહેલા પાંચ શખ્સોને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ બાઈકના કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યા ન હતા. કડક પૂછપરછમાં તેમણે ગુજરાત અને રાજસ્થાનમાંથી છેલ્લા એક વર્ષમાં 10 બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. LCBએ 5 આરોપીઓને ઝડપી લીધા1.રાકેશ ઉર્ફેે શાતીર ધનજી ઉર્ફેે ધનરાજ ખરાડી(મીણા) સૂત્રધાર (રહે.ચનાદિર ગોડ, ફલા જી.ઉદેપુર)2.અનનલકુમાર પ્રભુલાલ મિંગળાજી કટારા(મીણા) (રહે.જાલર દેવી, નટારા ખડકી, તા.સરાડા જી.સલુમ્બર)3.અજીત પ્રકાશજી ધુળાજી અહારી(મીણા) (રહે.બીલખ સોમાતિ ફલા તા.રૂષભદેવ, જી.સલુમ્બર)4.ગણેશ બાબુલાલ છગનલાલ કટારા (મીણા) (રહે.નટારા ખેડકી તા.સરાડા જી.સલુમ્બર)5.સુરેશકુમાર મિંગળાજી ભોગાજી ખરાડી (મીણા) (રહે.ચણાવદા ભેરૂફળા તા.ગીરવા જી.ઉદેપુર) ફરાર આરોપીઓ1.લાલુરામ ઉર્ફેે લલીત રમેશભાઇ ખરાડી, (રહે.સ્વરૂપલાલ ખેડીયા ફળી, તા.ઉદેપુર)2.જયંતિ ઉર્ફેે જીતુ ખરાડી (રહે.ચણાવદા, તા.ગીરવા જી.ઉદેપુર)3.શિવારામ ડામોર (રહે.શરૂપાલ ઉદેપુર)4.રણજીત ખરાડી (રહે.પીપલી બી, તા.ઋષભદેવ, જી.ઉદેપુર) LCBએ પકડાયેલા આરોપીઓને સાથે રાખીને વિવિધ સ્થળોએથી ચોરાયેલા બાઈક કબજે કર્યા હતા. આ બાઈક ઈડર, હિંમતનગર એ-ડિવિઝન, ગોધરા, અરવલ્લીના ભિલોડા, દહેગામના ડભોડા, અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાંથી અને ઉદયપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ચોરાયા હતા. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી LCBના PI ડી.સી. સાકરીયા, PSI એસ.જે. ચાવડા, આર.જે. જાડેજા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. વધુ તપાસ માટે પાંચેય આરોપીઓને ગાંભોઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2025–26 સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. જીસીટીઆરડી ગાંધીનગરની પ્રેરણાથી અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આયોજન હેઠળ આ બે દિવસીય કાર્યક્રમ 21 અને 22 જાન્યુઆરીના રોજ મોડલ સ્કૂલના પટાંગણમાં યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં ગીર સોમનાથ જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાંથી આશરે 6,500 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકોએ કુલ 51 સ્ટોલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરેલા નવા પ્રયોગો, સરળ શિક્ષણ પદ્ધતિઓ, મોડલ્સ અને ઇનોવેશન રજૂ કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાનો હતો. આધુનિક યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, શિક્ષકો દ્વારા ટેક્નોલોજી, દૃશ્ય-શ્રાવ્ય સાધનો, પ્રવૃત્તિ આધારિત અભ્યાસ, બાળમિત્ર શિક્ષણ અને સ્થાનિક સંસાધનોના ઉપયોગથી શિક્ષણને સરળ બનાવવા માટેના અનેક વિચારો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન સરકારી શિક્ષકોની સર્જનાત્મકતા અને કૌશલ્યનું કેન્દ્ર બન્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના મુખ્ય અધિકારી પંપાણીયા સાહેબે માહિતી આપતાં જણાવ્યું કે, આ ઇનોવેશન ફેસ્ટિવલમાં નામાંકિત થનાર શિક્ષકો અને મોડલ્સને આગામી તબક્કામાં પોરબંદર ઝોનલ ઇનોવેશન કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. ત્યાંથી પસંદગી પામનાર શિક્ષકોને રાજ્યકક્ષા અને નેશનલ લેવલના ઇનોવેશન પ્રોગ્રામમાં ભાગ લેવાની તક મળશે, જે ગીર સોમનાથ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે નવી ઓળખ અપાવશે. આ પ્રસંગે સરકારી બોયઝ સ્કૂલ, વેરાવળના શિક્ષણ સમિતિના સદસ્ય મુકેશભાઈ ચોલેરા, વરિષ્ઠ અગ્રણી ભાસ્કરભાઈ વેધ અને સામાજિક કાર્યકર અનિશ રાચ્છે ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રે સરકારી વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોની પ્રશંસા કરી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટેની પ્રતિબદ્ધતા, નવીનતા અને શિક્ષકોની મહેનત સ્પષ્ટપણે જોવા મળી હતી. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2025–26 ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.
ચોટીલામાં હાઈકોર્ટના 'યથાવત સ્થિતિ' (Status Quo) જાળવવાના આદેશ છતાં નવગ્રહ મંદિર અને ગૌશાળાની જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જમીન ચોટીલા ડુંગરની તળેટીમાં આવેલ શ્રી દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટની માલિકીની છે. આ જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 549/2026 હેઠળ કેસ ચાલી રહ્યો છે. ગત તારીખ 15 જાન્યુઆરી, 2026ના રોજ હાઈકોર્ટે બંને પક્ષોને 'સ્ટે' આપીને યથાવત સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં, 22 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે આશરે 12 કલાકે ચોટીલાના રજાકભાઈ કાળુભાઈ દલ અને દાઉદભાઈ કાળુભાઈ દલ નામના બે વ્યક્તિઓએ બળજબરીપૂર્વક મંદિરની જગ્યામાં પ્રવેશ કર્યો હતો. તેમણે હાઈકોર્ટના આદેશનો અનાદર કરીને મંદિરની ખુલ્લી જગ્યામાં સોડા બનાવવાનું સ્ટીલનું મશીન ગોઠવી દીધું હતું અને ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ શ્રી દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. અને ચોટીલા પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે. ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે, હાઈકોર્ટના આદેશનો ભંગ કરનાર તત્વો સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત, ગેરકાયદેસર રીતે ગોઠવેલ સામાન અને મશીનરી હટાવી જગ્યા ખુલ્લી કરાવવામાં આવે અને પૂજારી પરિવાર તથા મંદિરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં અને શ્રદ્ધાળુઓમાં ચિંતા વ્યાપી છે. હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘન બાદ વહીવટી તંત્ર અને પોલીસ આ મામલે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી) મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા(હનુભાના) ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં દંપતીની અંતિમ વિધિ કરવામાં આવશે. દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજનાં 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતાં.મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતાં વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા. મૃતક યશરાજસિંહ પરિવારના એકના એક દીકરા હતા, જેમનું મોત થયું છે. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, NSUIમાં પણ તેઓ કાર્યરત હતા. જયરાજસિંહે રડતાં રડતાં કહ્યું- 3 દિવસ પહેલાં જ મને મળ્યા હતા, ખૂબ દુઃખ થાય છેભાજપના નેતા જયરાજસિંહ પરમારે રડતાં રડતાં વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘટનાની ખબર પડતાં જ તાત્કાલિક આવી ગયો છું. ત્રણ દિવસ પહેલાં જ મને મળ્યા હતા. અગાઉ તેના પિતા પણ કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. ખૂબ દુઃખ થાય છે કે દીકરા સાથે આ રીતની ઘટના બની છે. અત્યારે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો નથી. શક્તિસિંહભાઈના ઘરે જ તેઓ મોટા થયા હતા. મારા મામાના દીકરાનો ભાઈ હતો, જેથી ખૂબ દુઃખ થાય છે. ખુશીથી જીવન પસાર કરતા હતા. અચાનક તેના ભાગ્યમાં કંઈ લખાયું અને આ ઘટના બની છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ શક્તિસિંહને મળી સાંત્વના આપીબનાવની જાણ થતાં જ અમિત ચાવડા, મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ અમદાવાદ સિવિલ પહોંચી ગયા હતા, સાથે જ ભાજપનેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શક્તિસિંહને મળી સાંત્વના આપી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી હોવાનો 108માં કોલ કર્યો હતો108 ઈમર્જન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11:45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતાં તેઓ મૃત હતાં, જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી, જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પત્નીના મોતના આઘાતમાં પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરીગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમનાં માતા પણ ફ્લેટમાં હાજર હતાં. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે. માતા અને 108ની ટીમ સામે આત્મહત્યા કરીયશરાજસિંહ વાહન ફુલ સ્પીડમાં ચલાવતા હોવાથી શક્તિસિંહ ગોહિલ તેમણે ઠપકો પણ આપતા હતા. કોઈપણ પ્રકારનો ઝઘડો બંને વચ્ચે નહોતો. બંને પરિવાર ખૂબ ખુશ હતા. પત્નીના મોતનો આઘાત લાગતાં તેમણે પોતે પણ પોતાને ગોળી મારી લીધી હતી. પોતાની માતા અને 108ની ટીમ સામે આત્મહત્યા કરી હતી. એ દરમિયાન 108ની ટીમે બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. બંનેએ માનતા રાખી હોવાથી બીજનાં દર્શન કરવા ગયાં હતાંયશરાજસિંહ ગોહિલના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં જ યશરાજસિંહ અને તેમની પત્ની બંને સોલા પાસે આવેલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયાં હતાં. માનતા રાખી હોવાથી એ પૂરી કરવા માટે બંને જણા બીજના દિવસે દર્શન કરવા માટે ગયાં હતાં. પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસોમાં જ વિદેશ જવાનાં હતાં. યશરાજસિંહને ગાડી અને બંદૂકનો ખૂબ શોખ હતો, જોકે કોઈપણ પ્રકારનું વ્યસન નહોતું. મૃત જાહેર કરતા જ યશરાજસિંહે રૂમમાં જઈને પોતાની જાતને ગોળી મારી: ACPસમગ્ર ઘટનાને લઈને એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રિના સમયે પોલીસને મેસેજ મળ્યો હતો. NRI ટાવરમાં પાંચમાં માળે 502માં ઘટના બની હતી. યશરાજસિંહ અને રાજેશ્વરી બાનું મૃત્યુ થયું છે. બંને કપલ સગાના ત્યાં જમવા ગયા હતા. જે બાદ રાત્રે યશરાજસિંહે તેમના માતાને ગોળી ભૂલથી છૂટી ગઈ છે તેવી જાણ કરી હતી. જેથી ફોન કરીને 108ને બોલાવવામાં આવે છે. 108ના સ્ટાફ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવે છે. મૃત જાહેર કરતા જ યશરાજસિંહે અંદર રૂમમાં જઈને પોતાની જાતને પણ ગોળી મારી હતી. ત્યારબાદ પતિ-પત્નીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. યશરાજસિંહ સરકારી નોકરી કરતા હતા. ‘એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓને સાથે રાખીને રાત્રે સમગ્ર કાર્યવાહી કરી’વધુમાં જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, રિવોલ્વરનું લાઇસન્સ હતું તેવી જાણકારી મળી છે, જો કે તેની તપાસ હાથ ધરવામાં આવશે. આસપાસના લોકોનું નિવેદન લેવામાં આવ્યું છે. બંને કપલને માથાના ભાગે ગોળી વાગી છે. મહિલાના માથાના પાછળના ભાગે ગોળી વાગી છે. હાલ અક્સ્માત મૃત્યુ દાખલ કરેલ છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બાકીના અધિકારીઓને સાથે રાખીને રાત્રે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. બે મહિનાનો લગ્નગાળો છે. પરિસ્થિતિ જોઈને પૂછપરછ કરવામાં આવી છે. જો કે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પણ વધુ વિગતો સામે આવશે. આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલે કેમ લગ્ન નથી કર્યા?: ‘કેશુભાઈ સરકાર વિરુદ્ધ નરેન્દ્રભાઈએ મને પુરાવા આપ્યા હતા’ હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છેશક્તિસિંહ ગોહિલ લીમડા સ્ટેટ(હનુભાના)ના છઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજિતસિંહ ગોહિલના દીકરા છે તેમજ હાલ તેઓ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે. આમ તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા રણજિતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. સરકારી સ્કૂલમાં અભ્યાસ અને ભણતાં ભણતાં જ બન્યા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો હતો. સરકારી પ્રાથમિક શાળામાં 1થી 4 ધોરણ બાદ સુરેન્દ્રનગરની શાળામાં ભણ્યા અને ત્યાર બાદ સોનગઢ ખાતે આર્ય સમાજના ગુરુકુળમાં અભ્યાસ કર્યો. તેઓ જૂની સ્ટ્રીમના છેલ્લા વિદ્યાર્થી હતા. બાદમાં ભાવનગરમાં સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટમાં કેમિસ્ટ્રી વિષય સાથે બીએસસી કર્યા બાદ LLB, ડિપ્લોમા ઈન જર્નલિઝમ અને બાદમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLMનો અભ્યાસ કર્યો. આ સમયગાળા દરમિયાન રાજકીય રીતે પણ જિલ્લા પંચાયતની બે ચૂંટણી લડ્યા હતા. ભણતરના એ સમયે જ ધારાસભ્ય પણ બની ગયા હતા. પરિવાર પોતાની રીતે વ્યસ્ત રહે છે. રાજકીય પ્રવૃત્તિમાં મારે જરૂર પડે ત્યારે પડદા પાછળ રહીને મદદ કરે છે, પણ સક્રિય રીતે અન્ય કોઈ રાજકારણમાં નથી. આ સમાચાર પણ વાંચો… અમદાવાદમાં કાકા સાથે આપઘાત કરનારી ભત્રીજી સગીર: બેવાર કેનાલમાં પડવા ગયાં ને અવરજવરથી હોટલમાં જીવન ટૂંકાવ્યું, કોલેજથી આત્મહત્યા સુધીની એક-એક વાત અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી 'ડેઇલી સ્ટે' હોટલમાં એક પ્રેમી યુગલે 17 ડિસેમ્બરે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું છે, જ્યારે યુવતીનો બચાવ થયો છે. આ કેસમાં કિશોરીની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી સગીર વયની છે. અગાઉ કાકા-ભત્રીજીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે બે વખત ગયાં હતાં, પરંતુ વાહનોની સતત અવરજવર હોવાથી વિચાર પડતો મૂક્યો હતો. તેના બીજા દિવસે જ સવારે હોટલમાં હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજાયું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં. 6, 7 અને 8 નો દુરુપયોગ થઈ રહ્યો છે. નિયમ મુજબ, આ ફોર્મ્સ બૂથ લેવલ ઓફિસર (BLO) મારફતે જ સ્વીકારવાના હોય છે, પરંતુ તેના બદલે સીધા ચૂંટણી શાખા, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) અથવા કલેક્ટર કચેરીમાં બલ્કમાં ફોર્મ આપીને ખાસ કરીને વિરોધ પક્ષના મતદારોના નામ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધરણા દરમિયાન કોંગ્રેસે આ પ્રક્રિયાને 'લોકશાહીની હત્યા' ગણાવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે જો ઉમેદવારનું જ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે, તો તે ચૂંટણી કેવી રીતે લડી શકશે? આ લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ છે. કોંગ્રેસ કાર્યકરોએ ચૂંટણી પંચને અપીલ કરી હતી કે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે. ફોર્મ્સ માત્ર બી.એલ.ઓ. મારફતે જ સ્વીકારવામાં આવે અને વહીવટી તંત્ર કોઈપણ રાજકીય દબાણ વિના તટસ્થ રીતે કામ કરે તેવી માંગ કરવામાં આવી હતી. આ ધરણા પ્રદર્શન દ્વારા કોંગ્રેસે મતદારોના અધિકારોના રક્ષણ માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે તરફથી મુસાફરો માટે એક મુસાફરોની વધતી માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં અસ્થાયી રીતે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22961 અને 22962, એટલે કે મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, 26 જાન્યુઆરી, 2026થી 7 માર્ચ, 2026 સુધી હાલના 16 કોચના બદલે 20 કોચના રેક સાથે સંચાલિત કરવામાં આવશે. વધારાના કોચના કારણે વધુ 278 લોકો મુસાફરી કરી શકશેઆ ફેરફાર અંતર્ગત હાલના C14 કોચની ક્ષમતા 44 સીટોથી વધારીને 78 સીટો કરવામાં આવી છે. ઉપરાંત, ચાર નવા એસી ચેર કાર કોચ-C15, C16 અને C17 (દરેકમાં 78 સીટો) તેમજ C18 કોચ (44 સીટો) ટ્રેનની સંરચનામાં ઉમેરવામાં આવ્યા છે. આ વધારાના કોચના કારણે કુલ 278 મુસાફરો વધુ મુસાફરી કરી શકશે, જેના કારણે પીક સીઝનમાં મુસાફરોને મોટી રાહત મળશે. પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સુવિધાજનક, આરામદાયક અને સુરક્ષિત મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે.
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે એલસીબી પોલીસ સતત સક્રિય છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સઘન અભિયાન દરમિયાન એલસીબીએ વધુ એક મોટો ફટકો આપ્યો છે. ગુજરાત–મધ્યપ્રદેશ સરહદે આવેલા ખંગેલા ચેકપોસ્ટેથી એલસીબી પોલીસે ભારતબેન્ઝ ટ્રક અટકાવી તપાસ કરતાં ડાંગરના ભુસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂ તથા બીયરનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે ગોઠવાયેલી નાકાબંધી દરમિયાન ટ્રકને કોર્ડન કરી અટકાવવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક છોગારામ કાનારામ બિશ્નોઈ (ઉં. 30, રહે. જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તલાશી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 1,176 પેટીઓમાં ભરેલી 26,784 બોટલો મળી આવી, જેની કિંમત ₹1,84,30,080 આંકવામાં આવી છે. પોલીસે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ભારતબેન્ઝ ટ્રક (રજી. નં. RJ04GD1529) કિંમત ₹20,00,000, મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને ડાંગરના ભુસા ભરેલા 189 થેલાઓ કિંમત ₹18,900 સહિત કુલ ₹2,04,53,980નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂનો જથ્થો પંજાબમાંથી લાવી ગુજરાતમાં પહોંચાડવાનો હોવાનું સ્વીકાર્યું હતું. આ મામલે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઘુસાડવામાં આવતા વિદેશી દારૂ સામે જિલ્લા પોલીસની સખત કાર્યવાહી ચાલુ છે. ફરી એકવાર એલસીબીની આ સફળ કાર્યવાહીથી દારૂની ઘુસણખોરીના રેકેટને મોટો ઝટકો લાગ્યો છે.
વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ગત રોજ વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પી આઈ બી.એન. ગોહિલ અને ટીમ દ્વારા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને બાતમી મળતા રેડ કરી હતી. આરોપીના કબજામાંથી 775 ગ્રામ અફીણ મળી આવ્યુંબાતમીના આધારે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરતા શેરખી ગામનો વિજયસિંહ ચંદ્રસિંહ પરમાર નશાકારક માદક પદાર્થ અફિણનું વેચાણ કરતો હોવાથી તેને ઝડપી માદક પદાર્થ અફીણનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો હતો. આરોપીની અંગેઝડતી અને સ્થળ પરથી 775 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ સાથે મોટરસાયકલ, મોબાઇલ તથા રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હતી. આરોપી સામે 2010માં પણ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતોઝડપાયેલ આરોપી વિજયસિંહ ચંદ્રસિંહ પરમાર (રહે શેરખી ગામ, કેનાલ પાસે, ભીમપુરા નજીક, તા. જિ. વડોદરા)સામે વર્ષ 2010 માં વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં એન.ડી.પી.એસ એક્ટ કલમ-17 હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 3,98,600 નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગમાં પશુપાલનથી પશુપાલકોને 88 કરોડથી વધુની આવક:2.20 કરોડ લીટર દૂધ ઉત્પાદનથી આર્થિક પરિવર્તન
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલા આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો હવે પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે. પશુપાલન માત્ર એક વ્યવસાય ન રહેતા, જિલ્લાની આર્થિક સમૃદ્ધિનું મુખ્ય સાધન બની ગયું છે. વર્ષ 2024-25 દરમિયાન જિલ્લામાં કુલ 2.20 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થયું છે, જેના પરિણામે પશુપાલકોને રૂ. 88.10 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. આ આંકડો ડાંગ જિલ્લામાં શ્વેતક્રાંતિની મજબૂત ગુંજનો સાક્ષી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ડેરી ઉદ્યોગના વિકાસમાં મહિલાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. હાલમાં જિલ્લામાં 194 મહિલા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં વઘઈ તાલુકામાં 72, સુબીર તાલુકામાં 63 અને આહવા તાલુકામાં 59 મંડળીઓનો સમાવેશ થાય છે. આ મંડળીઓ દ્વારા દૈનિક આશરે 70 હજાર લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. પશુપાલન શાખાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા જણાવાયું હતું કે ‘ન્યુ ગુજરાત પેટર્ન’ અંતર્ગત દુધાળા પશુઓની ખરીદી માટે 185 લાભાર્થીઓને રૂ. 87.88 લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વિદ્યુત ચાફકટર સહાય યોજના હેઠળ 21 લાભાર્થીઓને રૂ. 3.78 લાખની મંજૂરી આપવામાં આવી છે. બકરા એકમ સ્થાપન માટે વિધવા, દિવ્યાંગ અને સામાન્ય પશુપાલકો સહિત કુલ 29 લાભાર્થીઓને રૂ. 17.40 લાખની સહાય ફાળવવામાં આવી છે. જિલ્લામાં પશુ સારવાર માટે 6 ફરતા દવાખાના કાર્યરત છે, જે 1962 ટોલ ફ્રી નંબર દ્વારા વિનામૂલ્યે સેવા પૂરી પાડે છે. આ ઉપરાંત, ખાણ-દાણ સહાય માટે 1496 લાભાર્થીઓને રૂ. 59.47 લાખના ખર્ચે પશુ આહારનું વિતરણ થનાર છે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પશુપાલકોએ પોતાના અનુભવો રજૂ કરીને અન્ય પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે પશુચિકિત્સા અધિકારીઓએ પશુઓની યોગ્ય માવજત અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ખરીફ સીઝનના પાકોની અંદાજે 12,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ નિર્ણયને ખેડૂતો માટે અત્યંત લાભદાયી ગણાવતા પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે સરકારનો આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો છે. ખેડૂતોના ખાતામાં 9,907 કરોડની ચૂકવણી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 6,33,149 લાભાર્થી ખેડૂતોને 9,907.86 કરોડ રૂપિયાની ચૂકવણી સફળતાપૂર્વક કરી દેવામાં આવી છે. આ વર્ષે મગફળી, અડદ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે 20 જાન્યુઆરી સુધીમાં કુલ 10.11 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળશે. મગફળીની ખરીદીમાં નોંધપાત્ર વધારો ચાલુ વર્ષે મગફળીના પાકમાં ગત વર્ષની સરખામણીએ વધુ ખેડૂતોએ રસ દાખવ્યો છે. કુલ 9.31 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ગુજરાત માટે 20.10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. હિરેન હિરપરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચાલુ ખરીફ સીઝનમાં કુલ ખરીદીનું મૂલ્ય 15,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે ખેડૂતોની આવકમાં મોટો ઉછાળો લાવશે. તુવેર પાક માટે આધુનિક નોંધણી પ્રક્રિયા તુવેર પાકની વાત કરીએ તો, 22 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી, 2026 સુધીમાં e-Samruddhi પોર્ટલ પર 1,30,640 ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે. આ વખતે પ્રથમવાર NAFED ના પોર્ટલ પર આધાર આધારિત 'Thumb Impression' અથવા 'Face Recognition' જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિનામૂલ્યે નોંધણી કરવામાં આવી રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ, તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના 100 ટકા સુધી પહોંચવાની શક્યતા છે. ખેડૂતલક્ષી અભિગમ અને ટેકનોલોજીનો સમન્વય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ખેતીને વધુ નફાકારક બનાવવા પ્રયત્નશીલ છે. સરકારના આ પ્રોત્સાહનથી ખેડૂતો નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. અતિવૃષ્ટિ સમયે હેક્ટર દીઠ સહાય અને ત્યારબાદ મોટા પાયે ટેકાના ભાવે ખરીદીના નિર્ણયોએ સાબિત કર્યું છે કે સરકાર ધરતીપુત્રોની પડખે મજબૂતીથી ઊભી છે. આવનારા દિવસોમાં કૃષિ મંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો ખેડૂત વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનશે તેવો દ્રઢ વિશ્વાસ મીડિયા વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
પત્નીનું મોત થતા પોતે પણ આપઘાત કર્યો કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલના હાથે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલને ગોળી વાગી ગઇ.. જેમાં પત્નીનું મોત થતા આઘાતમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી. હેડક્વોર્ટરના રુમમાં ફાંસો ખાઈ મૂળ ભાવનગરના કોન્સ્ટેબલ પ્રિતી પરમાર જીવન ટૂંકાવ્યુ.. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આપઘાતનું કારણ અકબંધ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવકનો પરિણીતા પર છરી વડે હુમલો અમદાવાદના દાણીલીમડામાં પરિણીતા પર છરી વડે હુમલો કરાયો... તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી, કહીને યુવકે પરિણીતાને બેકરીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા .યુવકે અગાઉ પણ પરિણીતાના સંબંધીઓ પર હુમલો કર્યો હતો ...આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીનો આપઘાત ગાંધીનગરની જે. એમ. ચૌધરી કોલેજમાં 19 વર્ષીય શિવાની આહીરે ક્લાસરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો છે .. આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓમાં ભારે શોક અને ફફડાટ જોવા મળ્યો તો પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટની ધો.9ની સગીરા સાથે સ્કૂલ વાનમાં જ દુષ્કર્મ રાજકોટના માલવીયા નગરમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ... જેમાં દુષ્કર્મી ચાલક રમેશ ખરાની પોલીસે ધરપકડ કરી છે. વાનચાલકે દુષ્કર્મ ગુજારી વિદ્યાર્થિનીને ધમકાવી હતી જો તે કોઈને જાણ કરશે તો તેને છોડશે નહીં.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા પરત ફરશે નોકરી માટે બેલારુસ ગયેલી નવસારીની મહિલા મીના જોષી પરત ફરશે વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણે જ મહિલાની ટિકિટની વ્યવસ્થા કરી છે હાલ મીનાબેનને સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેનીબેને ભાજપના સાંસદના વખાણ કર્યા સુરતમાં ગેનીબેને ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ કર્યા તેમણે કહ્યુ કે ગોવિંદભાઈએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે 25 વર્ષની સતત મહેનતનું પરિણામ છે. સાથે તેમણે લગ્ન પાછળ ખેતીની જમીન ન વેચવા માટે પણ કહ્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત પોલીસ ભરતી પ્રક્રિયામાં ભરુચમાં શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતાં મોત નિપજ્યું.. દોડ પૂરી થતાગભરામણ થવા લાગી હતી અને તેઓ ઢળી પડ્યા હતા.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર, 2 ટુ-વ્હીલરને ટક્કર મારી કાર ચાલકનું મોત વડોદરાના કોઠી ચાર રસ્તા પોલીસ હેડ ક્વાર્ટર પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા એક કાર અને 2 ટુ-વ્હીલરને અડફેટે લીધા. જેમાં અકસ્માત સર્જનાર હિતેશભાઈ ઠક્કરનું મોત થયું જ્યારે 2 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરશિયાળે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે ભરશિયાળામાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે .. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂમમાં બર્થડે પાર્ટીમાં બે લોકો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ગંભીર મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક યુવક પર કાચની બોટલ વડે હુમલો કરવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે બે મુખ્ય આરોપીઓ સહિત 11 શખ્સો સામે અટકાયતી પગલાં ભરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આરોપીઓ માલેતુજારોના દીકરા હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. કાચની બોટલ માથામાં મારતા ચાર ટાંકા આવ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, 20 જાન્યુઆરીની મોડી રાત્રે લોર્ડ્સ હોટેલના રૂમમાં બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી અને આરોપીઓ નશો કરી રહ્યા હતા. ફરિયાદી યુવક ચિરાગ રવિભાઈ ભરાડા હોટેલના રૂમમાં હાજર હતો ત્યારે આરોપી આર્યન ઝીણુભાઈ દયાતરે ત્યાં આવી અચાનક બિભત્સ ગાળો આપી ઉશ્કેરણી કરી હતી. મામલો ઉગ્ર બનતા આર્યને રૂમમાં પડેલી કાચની બોટલ ફરિયાદી યુવકના માથામાં ફટકારી દીધી હતી. હુમલો એટલો જોરદાર હતો કે ફરિયાદીના માથાના ભાગે ચાર ટાંકા લેવા પડ્યા છે. આ હુમલા દરમિયાન અન્ય આરોપી રોનક હસમુખભાઈ જુંગીએ પણ ફરિયાદી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં ફરિયાદીને હોઠના નીચેના ભાગે ગંભીર ઈજા થતા ત્યાં બે ટાંકા આવ્યા છે. ફરિયાદી યુવક ના જણાવ્યા મુજબ, હાજર અન્ય લોકોએ પણ માર મારવામાં મદદગારી કરી હતી અને જિલ્લામાં અમલી હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. બે મુખ્ય સહિત 9 આરોપીઓની અટકાયતપોલીસે આ મામલે મુખ્ય આરોપીઓ સામે મારામારી અને ઈજા પહોંચાડવા અંગેનો ગુનો નોંધવા ઉપરાંત, અન્ય સામેલ 11 શખ્સો વિરુદ્ધ BNS કલમ 170 મુજબ અટકાયતી પગલાં લીધા છે. આરોપીઓના નામ 1. આશુતોષ રામભાઈ ઓડેદરા 2. ધ્રુવ જીતેન્દ્ર ગોહેલ 3. આનંદ કિરણભાઈ લાખાણી 4. અભય હિતેશભાઈ સુખડીયા 5. આર્યન જીણુંભાઈ દયાતર 6. રાજવીર જીતુભાઈ આગઠ 7. રિશી દીપકભાઈ હોદ્દાર 8. દિવ્ય નવનીત જુંગી 9. રોનક હસમુખભાઈ જુંગી 10. રાજન મુકેશ હોદ્દાર 11. રાજ રમેશભાઈ મોતીવરસ તમામ આરોપીઓ માલેતુજારોના દીકરાઓ હોવાની ચર્ચા છે. દારૂ પાર્ટી કરતા હોવાથી પોલીસે તમામના બ્લડ સેમ્પલ લઈને FSL મોકલ્યા છે. પોરબંદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું અને હોટેલ સંકુલમાં આ પ્રકારની પ્રવૃત્તિ કઈ રીતે બની.

25 C