અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે 12 વર્ષ પહેલા દાણીલીમડામાંથી ગુમ થયેલી એક બાળકીને શોધી તેના પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું હતું. હ્યુમન ટ્રાફિકિંગ ગેંગની ચૂંગાલમાં આવી ગયેલી આ બાળકીને શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ છેક મુંબઈ પણ પહોંચી હતી. ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરવા ખાસ ટીમ તૈયાર કરાઈઅમદાવાદ શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે ખાસ કવાયત ચાલી રહી છે. જેને પગલે ખુદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરીને તેમને યોગ્ય રીતે રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે ત્યારે ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંગલ અને ડીસીપી અજીત રાજીયાનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. ગઢવીની આગેવાનીમાં ખાસ ટીમ રચવામાં આવી હતી. આ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લાંબા સમયથી ગુમ થયેલા બાળકોને શોધવા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દાણીલીમડાથી 12 વર્ષ પહેલા બાળકી ગુમ થઈ હતીઆ તપાસ દરમિયાન ભિક્ષાવૃત્તિ, દેહવેપાર, ઓર્ગન ટ્રાફિકિંગ તથા જાતીય શોષણ જેવી ગંભીર બાબતોને ધ્યાનમાં રાખી વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી ત્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 12 વર્ષ પહેલા એક બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદની પણ તપાસ કરવામાં આવી રહી હતી. હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગની ચૂંગાલમાં ફસાઈ હતીતપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હાલ આ બાળકી મુંબઈમાં છે અને તે હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગની ચૂંગાલમાં ફસાઈ છે. જેને પગલે પોલીસે મુંબઈ સુધી તપાસ કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આખરે 12 વર્ષ બાદ ગુમ થયેલી બાળકી શોધી કાઢવામાં આવી અને તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. બે મહિના પહેલાં ન્યૂ મણિનગરમાં નાના બાળક પર હુમલાની ઘટના બાદ એસપી રિંગ રોડ શીલજ ચાર રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં મહિલા પર પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા સીડી ચડીને ઉપર જઈ રહી હતી તે દરમિયાન સામેથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈ નીચે આવી રહી હતી. આ દરમિયાન અચાનક જ કૂતરાએ મહિલાના પગ ઉપર બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો અને નખ બેસાડી દીધા હતા. મહિલા પર કૂતરા દ્વારા હુમલો કરવાની ઘટના ફ્લેટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે મહિલાના પતિ દ્વારા AMCના સીએનસીડી વિભાગ અને બોપલ પોલીસ સ્ટેશનમાં ઈ-મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે. ધનસુરાનું દંપતી અમદાવાદ દીકરીને મળવા અમદાવાદ આવ્યુંમૂળ અરવલ્લી જિલ્લાના ધનસુરા પાસે આવેલા આકૃન્દ ગામે પટેલ જશવંતભાઈ એમના પત્ની હિનાબેન સાથે રહે છે. હિનાબેન સરકારી શાળામાં આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે. જશવંતભાઈનો અમદાવાદ એસપી રિંગ રોડ પર શીલજ ચાર રસ્તા પાસે આવેલા કાવેરી સંગમમાં C-103 ફ્લેટ આવેલો છે. આ ફ્લેટમાં તેમના દીકરી અને તેમનો ભાણિયો રહે છે. જશવંતભાઈ અને હિનાબેન અવારનવાર અમદાવાદ આવતા હોય છે અને તેમના દીકરી સાથે રહેતા હોય છે. હિનાબેન બપોરે સીડી ચડી ઉપર ઘરે જતા હતાબંને પતિ-પત્ની અમદાવાદ પોતાના ફ્લેટ ખાતે રહેવા આવ્યા હતા. 20 જાન્યુઆરીના રોજ બપોરે પરત પોતાના ગામ જવાનું હોવાથી પહેલા નજીકમાં એક સંબંધીને મળવા ગયા હતા. હિનાબેન બપોરે 1 વાગ્યાની આસપાસ પોતાના ઘરે સીડી ચડીને જતા હતા, ત્યારે સીડી પરથી તેમના ઉપરના માળે C-203માં રહેતા મકાન માલિકની પુત્રી લાંબા પટ્ટા સાથે તેમના પાલતુ કૂતરાને લઈને નીચે ઉતરી રહી હતી. હિનાબેન જ્યારે સીડી ઉપર ચડવા જતા હતા, ત્યારે તેઓ પાલતુ કૂતરાને જોઇને ઊભા પણ રહ્યા હતા. સામેથી આવતા કૂતરાએ હિનાબેન પર હુમલો કર્યોજોકે, અચાનક જ કૂતરો તેમની તરફ આવી ગયો અને કરડવા માટે દોડ્યો હતો. કૂતરાથી બચવા માટે હિનાબેન બેથી ત્રણ પગથિયા પણ ચડી ગયા હતા. જોકે, યુવતી તેને ખેંચીને દૂર કરે તે પહેલા જ એમના પગ ઉપર નખ બેસાડી દીધા હતા. પાલતુ કૂતરાએ હુમલો કર્યો જે બાદ યુવતી તેમને બોલવા લાગી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતી રહી હતી. પાલતુ કૂતરાએ અચાનક હુમલો કરતા હિનાબેન ગભરાઈ ગયા હતા અને આ મામલે તેમના પતિ અને તેમની દીકરીને પણ જાણ કરી હતી. ડોક્ટરે ચાર ઇન્જેક્શન લેવા માટે કહ્યું છે: જશવંતભાઈજશવંતભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ફ્લેટમાં અવારનવાર અમે આવતા હોઈએ છીએ, ત્યારે અચાનક જ આ રીતે 20 જાન્યુઆરીના રોજ બપોરે અમે ગામેડ ઘરે પરત જવાના હતા ત્યારે સીડી ચડતી વખતે તેમના પત્ની ઉપર કૂતરાએ હુમલો કર્યો અને આ બાબતે જ્યારે તેમને કહેવા ગયા તો તેઓએ એમને કહ્યું હતું કે, આ મારા દીકરા જેવો છે. તમારાથી થાય એ કરી લો. ગામડે જવાનું હોવાને કારણે તેઓ ઘરે પહોંચ્યા હતા અને ત્યાં આકૃન્દ પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી. ડોક્ટરે ચાર ઇન્જેક્શન લેવા માટે કહ્યું છે. AMCના સીએનસીડી વિભાગને ઈ-મેલથી ફરિયાદવધુમાં તેમણે કહ્યું હતું કે, સ્થાનિક લોકોને જ્યારે આ બાબતે જાણ થઈ તો તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમના પાલતુ કૂતરાની ઘણી બધી ફરિયાદો છે. લાંબા પટ્ટાથી તેઓ કૂતરાને બાંધી રાખે છે અને અવારનવાર હુમલો પણ કરે છે. એક બે વખત તેમની દીકરીના ભાણિયયાને પણ કરવા માટે દોડ્યો હતો. આ સમગ્ર બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં અને AMCના સીએનસીડી વિભાગને ઈ-મેલ મારફતે ફરિયાદ કરી છે. પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે તેઓને જાણવા મળ્યું છે. આ બાબતે રૂબરૂ આવી શકે તેમ ન હોવાના કારણે તેઓ દ્વારા આ મામલે ઈ-મેલથી ફરિયાદ કરી છે. બે મહિના અગાઉ ન્યૂ મણિનગરમાં જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલોન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં બાળકનો આબાદ બચાવ થયો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળકો કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને લકી નામના કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી. એક બાળક નીચે પડી જતાં કૂતરાએ એના દાંત બેસાડી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જે બાદ પાલતુ કૂતરાને AMC દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર હજુ પણ લોકો પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવતા નથીહાથીજણમાં બાળકી પર પાલતુ કૂતરાના હુમલાથી 4 માસની બાળકીના મોતની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી આજ દિન સુધીમાં 18,900થી વધુ પેટ ડોગના માલિકો દ્વારા 19 હજારથી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવાયા છે. લોકો હજુ પણ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવી રહ્યા નથી. પેટ ડોગની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી ડોગ રજિસ્ટ્રેશનની ફી રૂપિયા 1,000ની જગ્યાએ રૂપિયા 2,000 કરવામાં આવ્યા છે. આ પણ વાંચો:- અમદાવાદમાં 4 માસની બાળકીને ફાડી ખાનારો રોટવિલર ખતરનાક ડોગ લેબ્રાડોર સહિત કુલ ચાર પ્રજાતિના ડોગનું સૌથી વધુ રજિસ્ટ્રેશનઅત્યાર સુધીમાં જેટલા પણ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે લોકો લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ રાખે છે. ત્યાર બાદ જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. કુલ 10 જેટલી પ્રજાતિના પેટ ડોગ લોકો પાસે જોવા મળી રહ્યા છે. AMCમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધુ આ ચાર પ્રજાતિના છે. સૌથી આક્રમક ગણતા રોટવીલર પ્રજાતિના ડોગ ખૂબ ઓછા લોકો ધરાવે છે. 31 માર્ચ 2026 સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવી શકાશેશહેરમાં પેટ ડોગ રાખનારા લોકોએ AMCમાં ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયા છે. જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે. હજી પણ શહેરમાં અંદાજિત 30,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી. જોકે, 1 જાન્યુઆરી 2026થી ડોગ રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરાયા બાદ જે પણ પેટ ડોગ માલિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેમણે 31 માર્ચ 2026 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પશ્ચિમમાં સૌથી વધુ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછું રજિસ્ટ્રેશનડોગ રજિસ્ટ્રેશન સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, શિત્ઝુ સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછા મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્હી દરવાજા જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. ડોગ રજિસ્ટ્રેશન ન કરાવનાર માલિક સામે કાર્યવાહી કરાશેAMC દ્વારા પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી બનાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં AMCના સીએનસીડી વિભાગની ટીમ દ્વારા જે લોકો દ્વારા પેટ ડોગ રાખવામાં આવે છે તેની માહિતી મેળવી તેમના ઘરે ચેકિંગ કરવામાં આવશે. પેટ ડોગ અંગે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવશે. જેઓએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તો ડોગ માલિકને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈને ડોગ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2026 સુધીમાં કરાવવાનું રહેશે.
સુરતવાસીઓ માટે ખાસ કરીને કતારગામ અને અમરોલીના રહીશો માટે રાહતના સમાચાર છે. સાડા ત્રણ વર્ષ લાંબી આતુરતાનો અંત આવ્યો છે કારણ કે, કતારગામના ગજેરા સર્કલથી અમરોલીને જોડતા રત્નમાલા જંકશન બ્રિજનો પ્રથમ રેમ્પ ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. શહેરના મેયરના હસ્તે આ નવનિર્મિત રેમ્પનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારમાં વર્ષોથી સતાવતી ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. રેમ્પ શરૂ થતા વાહનચાલકો સીધા અમરોલી તરફ જઈ શકશે63 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ કતારગામ અને અમરોલી વિસ્તાર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે અત્યંત મહત્વનો સાબિત થશે. લોકાર્પણ કરવામાં આવનાર આ રેમ્પ કાંસાનગરથી અમરોલી તરફ જાય છે અને તેની લંબાઈ અંદાજે 1030 મીટર છે. ગજેરા સર્કલ વિસ્તારમાં સતત વાહનોની ભારે અવરજવરને કારણે જામની સ્થિતિ સર્જાતી હતી, પરંતુ હવે આ રેમ્પ શરૂ થતા વાહનચાલકો સીધા અમરોલી તરફ જઈ શકશે, જેનાથી સમય અને ઇંધણ બંનેની બચત થશે. એન્જિનિયરોએ બ્રિજની આખી રૂટ લાઇન બદલતા કામગીરી મોડી થઈઆ પ્રોજેક્ટની કામગીરી જુલાઈ-2022માં શરૂ કરવામાં આવી હતી પરંતુ, નિર્માણ દરમિયાન અનેક ટેકનિકલ અવરોધો આવ્યા હતા. ઓક્ટોબર-2023માં જ્યારે ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જમીનની નીચે મોટી માત્રામાં પાણી-ગટરની લાઈનો અને અન્ય યુટિલિટી કેબલ્સ મળી આવ્યા હતા. આ સમસ્યાને કારણે એન્જિનિયરોએ બ્રિજની આખી રૂટ લાઇન બદલવી પડી હતી અને BRTS લેન તોડીને નવું ફાઉન્ડેશન બનાવવાની ફરજ પડી હતી. આ કારણોસર નિર્માણ કાર્યમાં મોટો વિલંબ થયો હતો. મુખ્યમંત્રીનો સુરત પ્રવાસ હવે 31મી જાન્યુઆરી પર ખસેડવામાં આવ્યો અગાઉ આ બ્રિજનું ઉદ્ઘાટન 23મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે કરવાનું આયોજન હતું પરંતુ, કેટલાક સ્થાનિક વિવાદોને કારણે કાર્યક્રમમાં ફેરફાર થયો છે. કતારગામની ટીપી સ્કીમ નં-49, 50 અને 51માં રિઝર્વેશન મુદ્દે રહીશોનો વિરોધ અને સુમન સ્કૂલના સ્થળ ફેરફારના વિવાદને જોતા મુખ્યમંત્રીનો સુરત પ્રવાસ હવે 31મી જાન્યુઆરી પર ખસેડવામાં આવ્યો છે. જોકે, ટ્રાફિકની ગંભીરતાને જોઈને વહીવટી તંત્રએ તૈયાર થયેલા એક રેમ્પનું ઉદ્ઘાટન મેયરના હસ્તે વહેલું કરવાનું નક્કી કર્યું છે. તંત્ર દ્વારા આ બ્રિજને 15 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પરંતુ, જટિલ કામગીરીને કારણે માત્ર એક જ રેમ્પ અત્યારે શરૂ થઈ શક્યો છે. બાકીની કામગીરી પણ હવે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. શરૂ થઈ રહેલા 1030 મીટર લાંબા આ માર્ગને કારણે કતારગામ અને અમરોલી વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે, જેની સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા.
વર્ષ 2016માં મૂળ બનાસકાંઠાના હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર સામે રાણીપ પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તેઓ જ્યારે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે આરોપી હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. કોન્સ્ટેબલ ઓન ડ્યુટી પીધેલી હાલતમાં ઝડપાયા હતાઆ કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા. મેજિસ્ટ્રેટ પી.કે.પંડ્યાએ સરકારી વકીલ તુષાર.એલ.બારોટની દલીલો 12 સાહેદ અને 8 પુરાવાઓ ધ્યાને લઈને આરોપીને 1 વર્ષ સાદી કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીના રાણીપ ખાતે આવેલ નિવાસ સ્થાને ફરજ બજાવતા હતા અને ત્યાંથી જ ઓન ડ્યુટી પીધેલી હાલતમાં ઝડપાયા હતા. FSLમાં આરોપીના બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ મળી આવ્યો હતોતેઓ હથિયાર ધારી પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં તેમની પાસે તે સમય હથિયાર નહોતું અને પેટીમાં મૂકેલું હથિયાર તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને બતાવ્યું હતું. તેમના સહ કર્મચારી તે સમયે જમવા માટે ગયા હતા. બપોરના સમયે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોપીના બ્લડ સેમ્પલ FSL માં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં આલ્કોહોલ મળી આવ્યો હતો.
‘ડાયપર નહીં ડિગ્નિટી’:બ્લેડર એક્સ્ટ્રોફી ધરાવતા બાળકો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની સંવેદનશીલ પહેલ
બાળપણમાં કેટલાક બાળકો માટે શાળાએ જવું પણ એક ડર બની જાય છે કારણ છે, કપડાં વારંવાર ભીના થવાની સમસ્યા. બ્લેડર એક્સ્ટ્રોફી નામની જન્મજાત બીમારીથી પીડિત બાળકોમાં પેશાબ કાબૂમાં રહેતો નથી. પરિણામે કપડાં ભીના થાય છે, દુર્ગંધ આવે છે અને સાથી બાળકો મજાક ઉડાવે છે. આ કારણે ઘણા બાળકો શાળાએ જવાનું બંધ કરી દે છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક માનવતાવાદી પહેલ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ બ્લેડર એક્સ્ટ્રોફી કોલાબોરેટિવ, અમેરિકાની A-BE-C સંસ્થા અને સુરતના પરોપકારી મોદી પરિવારે સાથે મળીને તૈયાર કર્યું છે — રીયૂઝેબલ ‘BE-Dry’ ડાયપર. BE-Dry નામના ખાસ ડાયપર તૈયાર કરાયાસિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, બ્લેડર એક્સ્ટ્રોફીના ઘણા બાળકોમાં સર્જરી પછી પણ પેશાબ લીક થવાની સમસ્યા રહે છે. ગરીબ પરિવારો માટે રોજના મોંઘા ડાયપર ખરીદવા શક્ય નથી, જેના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને BE-Dry નામના ખાસ ડાયપર તૈયાર કરાયા છે. આ ડાયપર ફરીથી ઉપયોગ કરી શકાય એવા છે, જેમાં અન્ડરવેર અને બદલાઈ શકે એવા પેડ્સ હોય છે. લાંબા સમય સુધી ચાલે એવા આ ડાયપર બાળકોને શાળામાં આત્મવિશ્વાસ આપે છે. આ પહેલમાં સુરતના વિનય મોદી અને અંજુ મોદીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમણે લગભગ 1.5 લાખ રૂપિયાના ખર્ચે 140 બાળકોને 8-8 BE-Dry ડાયપર ભેટ આપ્યા છે. ડૉ. રાકેશ જોષી કહે છે કે, આ ડાયપર માત્ર કપડાં બચાવવાનું સાધન નથી, પરંતુ બાળકોના આત્મસન્માનની રક્ષા છે. હવે કોઈ પણ બાળક શરમના કારણે શાળાથી દૂર નહીં રહે. આ પહેલથી હવે અનેક બાળકો ફરી શાળાએ જઈ રહ્યા છે, મિત્રો સાથે ડર વગર બેસી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલીપ ગ્રીન OAMની સૌજન્ય મુલાકાત દરમિયાન રમતગમત, ઓલિમ્પિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સહકારને લઈને વ્યાપક ચર્ચા થઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ઓલિમ્પિક ગેમ્સ માટે વિકસાવવામાં આવતી સુવિધાઓનો લાંબા ગાળે સસ્ટેનેબલ ઉપયોગ કરવા ઓસ્ટ્રેલિયાના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી. ઓસ્ટ્રેલિયાનો મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક બની શકે તેમ ચર્ચાયું2032માં બ્રિસ્બેનમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલી તૈયારીઓ અંગે વિગતવાર વિચાર-વિમર્શ થયો. રમતો બાદ ખેલગામો, આવાસ અને અન્ય સુવિધાઓનો સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ ઇવેન્ટ્સ માટે ઉપયોગ કેવી રીતે થાય તે અંગે ઓસ્ટ્રેલિયાનો મોડેલ ગુજરાત માટે માર્ગદર્શક બની શકે તેમ ચર્ચાયું. ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરીઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ગ્રીને બ્રિસ્બેનમાં ચાલી રહેલી ઓલિમ્પિક તૈયારીઓના નિરીક્ષણ માટે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળને ઓસ્ટ્રેલિયા આવવાનું આમંત્રણ આપ્યું. સ્વિમિંગ, પેરા એથલેટિક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટર્સમાં ઉચ્ચ સ્તરીય તાલીમ માટે ઓસ્ટ્રેલિયા સહકાર આપવા ઇચ્છુક હોવાનું પણ તેમણે જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ક્ષમતા અને તાલીમ પદ્ધતિની પ્રશંસા કરી અને 2036 ઓલિમ્પિકમાં ગુજરાત તથા દેશના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે સહિયારા પ્રયાસોની અપેક્ષા વ્યક્ત કરી. બેઠકમાં અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈઆ બેઠકમાં ગિફ્ટ સિટીમાં કાર્યરત ડિકન યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ રિસર્ચ અને સ્પોર્ટ્સ બિઝનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભું કરીને અલગ ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના અંગે પણ ચર્ચા થઈ. માર્ચ-2026માં યોજાનારા ડિકન યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપવા મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી આગવી પ્રગતિથી ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર પ્રભાવિત થયા હતા. તેમણે રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટિઝ ગુજરાતને ઉપલબ્ધ કરાવવા ઉત્સુકતા દર્શાવી. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં સોલાર રૂફટોપ માટે વિકસાવવામાં આવતી ટ્રેનિંગ સુવિધાઓ અને તેમાં મહિલાઓની વધતી ભાગીદારીની પણ પ્રશંસા કરવામાં આવી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સચિવ અજય કુમાર, ઇન્ડેક્ષ્ટ-સીના એમડી કેયુર સંપટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
રાજકોટ એરપોર્ટ પર 5 કરોડની વોચ ગાયબ:લંડન જતા વિદેશી મુસાફરની ગોલ્ડ વોચ CISFએ શોધી કાઢી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જતા વિદેશી મુસાફરની રૂ.5 કરોડની ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જોકે, CISF દ્વારા કરાયેલા CCTV સર્વેલન્સ દરમિયાન અન્ય મુસાફર પાસેથી આ કાંડા ઘડિયાળ મળી આવી હતી, જેથી મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. કિંમતી વોચ ગાયબ થઇ જતા વિદેશી મુસાફર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, આ ઘડિયાળ મળી જતા વિદેશી મુસાફરે CISF સ્ટાફની પ્રશંસા કરી હતી. વિદેશી મુસાફરની કિંમતી ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતીમળતી વિગતો મુજબ 20 જાન્યુઆરીના સવારે રાજકોટથી 8.35 વાગ્યે મુંબઈ જતી ફલાઇટમાં જવા માટે મુસાફરો રવાના થવાના હતા. આ દરમિયાન એક વિદેશી મુસાફરની કિંમતી ગોલ્ડ વોચ ગાયબ થઈ ગઈ હતી. જેથી ઇન્સ્પેક્ટર એન.એસ. રાઠોરના માર્ગદર્શનથી CISF ની ટીમ, ઇન્ટેલિજન્સ યુનિટ અને સીસીટીવી સર્વેલન્સ સ્ટાફ દ્વારા તે વોચની શોધખોળ કરવામાં આવી હતી. સવારના ભીડના સમયે એરપોર્ટ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન ગાયબ થઈ ગયેલી વોચ બોર્ડિંગ શરૂ થતાં જ અન્ય મુસાફર પાસેથી મળી આવી હતી. જેથી વિદેશી મુસાફરને તેની ગોલ્ડની કાંડા ઘડિયાળ પરત મળી હતી. જેની કિંમત અંદાજે રૂ.5 કરોડ જેટલી હતી. જોકે કિંમતી ઘડિયાળ મળી જતા વિદેશી મુસાફરે પણ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ACBએ આજે અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના PSI, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ (વચેટિયા) ને ₹3,00,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો?આ કેસની વિગત મુજબ, ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ હતો. આ ગુનાની તપાસ PSI આર.એમ. રાધનપુરા કરી રહ્યા હતા. ફરિયાદી વિરુદ્ધ PASAની કાર્યવાહી ન કરવા અને સાક્ષીના ટ્રકના અસલ કાગળોની ફાઈલ પરત આપવાના બદલામાં PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા વતી આરીફભાઇ રવજાણી નામના શખ્સે ₹3,00,000ની લાંચની માંગણી કરી હતી. ACBનું સફળ છટકુંફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી ACBનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે તા. 21/01/2026 ના રોજ રાજુલા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન, ખાનગી વ્યક્તિ આરીફભાઇ રવજાણીએ પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી ખાતરી કરી હતી. ત્યારબાદ PSI અને પોલીસ કર્મચારી વતી આરીફભાઇએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર દબોચી લીધો હતો. જોકે, PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા, પરંતુ ગુનામાં તેમની સીધી સંડોવણી ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની વિગત 1. આર.એમ. રાધનપુરા – PSI, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન. 2. આશિષસિંહ ઝાલા – પોલીસ કર્મચારી, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન. 3. આરીફભાઇ અકબરઅલી રવજાણી – પ્રજાજન (વચેટિયો), રહે. મોણપર, તા. મહુવા. કામગીરી કરનાર ACBની ટીમટ્રેપીંગ અધિકારી આર.ડી. સગર (ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર, અમરેલી એસીબી) અને તેમની ટીમ દ્વારા સુપરવિઝન અધિકારી એસ.એન. બારોટ (મદદનીશ નિયામક, ભાવનગર એસીબી એકમ) અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, એસીબી રાજકોટ)ના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ACBની આ સફળ કામગીરીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખોની લાંચનું આ કૌભાંડ ખુલ્લું પડ્યું છે.
સુરત શહેરના લાલ ગેટ વિસ્તારમાં આવેલા શાહપોર ખાતે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. માછલીપીઠ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અચાનક જ 25 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સમયે બાજુમાં જ લગ્નનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લગ્ન મંડપનો એક પાયો પણ ભૂવામાં ગળકાવ થઈ ગયો હતો અને સાથે 15થી 20 ખુરશીઓ પણ ખાડામાં પડી ગઈ હતી. આ સાથે જ ભૂવો પડ્યો તેની નજીકમાં કિચન હોવાથી ખાવાનું મૂકીને ભાગી ગયા હતા. મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ હતી. લગ્નનો મંડપ અને ખુરશીઓ ભૂવામાં હોમાઈદુર્ઘટના સમયે લગ્ન મંડપમાં મહેમાનોની અવરજવર હતી. અચાનક જમીન માર્ગ આપતા 15થી 20 જેટલી ખુરશીઓ અને મંડપનો અમુક હિસ્સો જોતજોતામાં ઊંડા ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે, જમીન ધસી રહી હોવાનો અહેસાસ થતા જ લોકોએ દોડધામ મૂકી દીધી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. લોકો એટલા ડરી ગયા હતા કે જમવાનું પડતું મૂકીને જીવ બચાવવા સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. મહેમાનોમાં પણ દોડધામ થઈ ગઈ હતી. ગેસ અને પાણીની લાઈનો ક્ષતિગ્રસ્તભૂવો પડવાની જાણ થતા જ ફાયર વિભાગ, ગુજરાત ગેસ અને મેટ્રો રેલના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગેસની પાઈપલાઈન તૂટી હોવાની ચર્ચાને પગલે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પુરવઠો બંધ કરાયો હતો. ભૂવો પડવાને કારણે પાણીની મુખ્ય લાઈન પણ તૂટી હોવાની શંકા છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાવા લાગ્યા હતા. ભૂવો એક બંગલાના કિચનની બિલકુલ પાછળ પડ્યો હોવાથી જોખમ જોતા એક આખો બંગલો તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ કે જવાબદાર કોણ?મેટ્રોની કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક રહીશોમાં સુરત મહાનગરપાલિકા અને મેટ્રો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, મેટ્રોની કામગીરીમાં યોગ્ય સાવચેતી રાખવામાં આવતી નથી. આજે જો કોઈ જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત? રહેણાંક વિસ્તારોમાં આવી બેદરકારી સાંખી લેવાય નહીં. ભૂવો પડતા વિસ્તારને કોર્ડન કરી દેવાયોહાલમાં આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરીજનોમાં હવે એ સવાલ ઊઠી રહ્યો છે કે શું વિકાસના કામો લોકોના જીવના જોખમે થશે? આગામી સમયમાં આ મામલે જવાબદારી નક્કી કરી કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.
બુટલેગર બેરિકેટ તોડી ભાગ્યો, CCTV ફૂટેજ સામે આવ્યા:પાવી જેતપુર પોલીસે પીછો કરી દારૂ ભરેલી XUV ઝડપી
પાવી જેતપુર નજીક વન કુટિર પાસે વિદેશી દારૂ ભરેલી XUV ગાડી બેરિકેટ તોડીને ભાગી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને ઝડપી પાડી હતી. ગઈકાલે બોડેલી તરફથી આવતી એક XUV ગાડીમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા પાવી જેતપુર પોલીસે વન કુટિર પાસે બેરિકેટ ગોઠવ્યા હતા. જોકે, બુટલેગરે ગાડી રોકવાને બદલે બેરિકેટ તોડીને છોટા ઉદેપુર તરફ પુરપાટ ઝડપે ભગાવી હતી. પોલીસે તાત્કાલિક ગાડીનો પીછો શરૂ કર્યો હતો. લગભગ એક કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પાવી રેલવે ગરનાળા પાસે બુટલેગર XUV ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ₹1,71,902/- ની કિંમતની વિદેશી દારૂની 754 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને ગાડી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીપલોદ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલકુમાર શેઠની કાળી કરતૂત સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાઈ ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ આરોપીએ કારની અંદર જ બાળકો પાસે જાતીય સતામણીની ગંદી માંગણીઓ કરી હતી. 'જો તમે મારા ઘરે આવીને કામ કરશો તો ચોકલેટ આપીશ'ઘટનાની વિગતો મુજબ બાળકો ગાર્ડનમાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી. વધુમાં તેણે કહ્યું કે, જો તમે મારા ઘરે આવીને સાફ-સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ. બાળકો તેની વાતમાં આવી ગયા અને કારમાં બેસી ગયા. કારમાં બેસાડીને અશ્લીલ માગણીઓ કરી હતીકારમાં બેસાડ્યા બાદ આરોપીએ બાળકોને શહેરના રસ્તાઓ પર ફેરવવાનું શરૂ કર્યું પરંતુ, થોડીવાર બાદ તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું. ઉમરા પોલીસની તપાસમાં બહાર આવ્યું કે તેણે બાળકોને કપડાં ઉતારવા માટે દબાણ કર્યું અને જાતીય સતામણીના ઈરાદે ગંદી માંગણીઓ કરી હતી. પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો બાળકોએ હિંમત બતાવીને આરોપીનો વિરોધ કર્યો અને રડતા-રડતા કહ્યું, અમે આવું ગંદુ કામ નહીં કરીએ. બાળકોની રડારોળ અને બૂમાબૂમથી આરોપી ગભરાઈ ગયો અને તેમને ગમે ત્યાં છોડી દેવાની ફિરાકમાં હતો. બીજી તરફ બાળકોના અપહરણની જાણ વાયુવેગે પોલીસ સુધી પહોંચતા ઉમરા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી દીધી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો અને બંને બાળકોને સહીસલામત છોડાવી લીધા. બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવાઉમરા પોલીસે હર્ષ વિશાલકુમાર શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપી સાધન-સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે છતાં તેની આવી વિકૃત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ તેણે આવી હરકત કરી છે કે કેમ. આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે કે, બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
35 વર્ષ જૂના બેંક છેતરપિંડી કેસનો આરોપી ઝડપાયો:સાવરકુંડલા બેંકના પૂર્વ મેનેજરની પાલીતાણાથી અટકાયત
અમરેલી જિલ્લા પોલીસે 35 વર્ષ જૂના સાવરકુંડલા નાગરિક સહકારી બેંક છેતરપિંડી કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા (ઉંમર 78) ને પાલીતાણાથી ઝડપી પાડ્યા છે. તેઓ છેલ્લા 27 વર્ષથી ફરાર હતા. અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 1990માં થઈ હતી છેતરપિંડીઆ છેતરપિંડી 1990માં થઈ હતી, જ્યારે કિશોરભાઈ મહેતા સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે બેંકની ચેકબુકનો દુરુપયોગ કરીને પોતાની પત્ની મીનાક્ષીબેન કિશોરભાઈ મહેતાના નામે બે બનાવટી ચેક બનાવ્યા હતા. મેનેજર તરીકે પોતાની સહી કરીને અને એકાઉન્ટન્ટ અશ્વિનકુમાર દવેની બનાવટી સહી કરીને તેમણે આ ચેક મેળવ્યા હતા. આ બંને ચેક કુલ ₹30,000 ના હતા, જે રાજકોટની વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં મીનાક્ષીબેનના ખાતામાં જમા કરાવી ₹30,000 ની ઉચાપત કરવામાં આવી હતી. આ ઘટના બાદ કિશોરભાઈ મહેતાએ 1990માં જ બેંકમાંથી રાજીનામું આપી દીધું હતું અને ફરાર થઈ ગયા હતા. 1998માં તત્કાલીન બેંક મેનેજરે ફરિયાદ નોંધાવીઆ છેતરપિંડીની જાણ 1998માં સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના મેનેજર અશ્વિનકુમાર દવેને થતા, તેમણે સાવરકુંડલા કોર્ટમાં IPC કલમ 420, 409, 467, 468 તથા 471 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ બંને આરોપીઓ ધરપકડથી બચવા માટે અલગ-અલગ શહેરોમાં નાસતા ફરતા હતા. અમરેલી જિલ્લાની એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમો દ્વારા છેલ્લા બે મહિનાથી વાંકાનેર, બોટાદ, અમદાવાદ, સાણંદ અને પાલીતાણા ખાતે આરોપીઓના સગા-સંબંધીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને પતિ-પત્ની પાલીતાણામાં જૈન ધર્મશાળાઓમાં રહેતા હતાતપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે બંને આરોપીઓ પાલીતાણા ખાતે અલગ-અલગ જૈન ધર્મશાળાઓમાં રહેતા હતા. આ માહિતીના આધારે, પેરોલ-ફર્લો ટીમે પાલીતાણા તળેટી વિસ્તારમાં, સાંઈબાબા મંદિર પાસે, અંજનાબેન ખાટાભાઈ મકવાણાના ભાડાના મકાનમાંથી આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતાને ઝડપી પાડ્યા હતા. આરોપી નંબર 2, મીનાક્ષીબેન કિશોરભાઈ મહેતા અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનું 2023માં પાલીતાણા ખાતે અવસાન થયું છે. પોલીસ દ્વારા તેમનું મરણ પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું છે. બંને આરોપીઓની ઓળખ માટે જરૂરી આધાર પુરાવાની નકલો પણ મેળવી લેવામાં આવી છે.
અમદાવાદના ઘાટલોડીયા પોલીસ મથકે 19 જાન્યુઆરીના રોજ 9 જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મોટાભાગના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો હતા. જેઓ મોટાભાગના નારણપુરાના રહેવાસી હતા. વિધાર્થી ઉપર સગીરો અને યુવાને હુમલો કર્યોઆ ફરિયાદ મુજબ ધોરણ 10માં ભણતા એક 16 વર્ષીય વિધાર્થી ઉપર અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં કેટલાક સગીરો અને યુવાને હુમલો કર્યો હતો. જેમાં ભોગ બનનાર સગીરના મિત્રને ચાકુ પણ વાગ્યું હતું. મળતી માહિતી મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોને બાળ સુધાર ગૃહોમાં મોકલી આપવામાં આવ્યા છે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યાજ્યારે આ ઘટનામાં 18 વર્ષીય દેવ વણજારાની પોલીસે અટક કરીને 3 દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે, આરોપી તપાસમાં સરકાર આપી રહ્યો નથી અને ગોળ ગોળ વાતો કરે છે. આ કેસમાં અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ? તેઓ હથિયારો અને વાહનો ક્યાંથી લાવ્યા હતા?, તેમના મોબાઇલની તપાસ કરવાની છે. જેથી તેના 3 દિવસના રિમાન્ડ આપવામાં આવે. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
પોરબંદરમાં 800 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું:મહાનગરપાલિકાએ રૂ. 13500નો દંડ વસૂલ્યો, ઝુંબેશ ચાલુ રહેશે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ બજાર વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજી 800 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી રૂ. 13,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી કમિશનર હસમુખ પ્રજાપતિની સૂચના અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી તથા હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરવાનો અને શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવાનો છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી જગદીશભાઈ ઢાંકીની આગેવાની હેઠળની ટીમે શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, સંગ્રહ અને વેચાણ કરતા એકમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ 800 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ અને એકમો પાસેથી સ્થળ પર જ કુલ રૂ. 13,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાની આ આકસ્મિક કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે પાલિકા કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. મહાનગરપાલિકાએ તમામ વેપારીઓ અને નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી, પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
રાજકોટની જાણીતી વડાલિયા ફૂડસ પેઢીના સંચાલક સાથે સ્ટોન ક્રશરમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચે રૂ.10.98 કરોડની છેતરપિંડી આચરવા કેસમાં આરોપી અમિત ભાણવડીયાના 5 દિવસ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી અમિત ભાણવડીયાએ કબૂલાત આપી હતી કે, પોતે તીનપતી જુગારમાં અને વિજય માંકડીયા MCX તેમજ જુગારમાં રૂપીયા હારી ગયો છે તેને ફરિયાદી ઉપરાંત અનેક લોકો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી આચરી છે જે રકમ પણ કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. હાલ પોલીસે ભોગ બનનાર લોકોના નિવેદન નોંધવા તેમજ સાહેદ બનાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે. આરોપીઓની ત્રણ સ્ટોન પેઢીના હિસાબો પોલીસને હાથમાં લાગ્યા છે, જે સમગ્ર હિસાબોની સઘન તપાસ કર્યા બાદ અન્ય કોઈ આરોપી તેમાં સામેલ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. વાર્ષિક 12% જેટલું વળતર આપવાની લાલચ આપી ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા જુદી-જુદી ત્રણ પેઢી શરૂ કરી કપચીનો વેપાર કરવામાં વાર્ષિક 12% જેટલું વળતર આપવાની લાલચે વર્ષ 2019થી 2024 દરમિયાન રૂ.6.90 કરોડનું રોકાણ કરાવી કટકે-કટકે રૂ.1.08 કરોડ પરત આપ્યા હતા ત્યારબાદથી રકમ આપવાનું બંધ કરી દેતાં અત્યાર સુધીમાં વળતર સહિત રૂ.10.98 કરોડ ન ચુકવવામાં આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ક્રિકેટ સટ્ટો રમતા કુખ્યાત અખ્તર કચરા ઝડપાયો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમીના આધારે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.11 પાસે બગીચાની ફુટપાથ પર એક શખસ મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હતો તેને ઝડપી લઇ તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ અખતર શૌકતભાઇ કચરા (ઉ.વ.25) જણાવ્યું હતું. પોલીસે મોબાઇલની તપાસ કરતા તે મોબાઇલમાં ગ્લોબલ777 ડોટ કોમ નામની આઇડી મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગની પર્થ સ્કોચર્સ અને સીડની સીકસરની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું તેની આઇડીમાં જોતા રૂ.5270ની બેલેન્સ જોવા મળી હતી જેથી પોલીસે આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી બુકીનું નામ ખોલવા તપાસ હાથ ધરી છે. આરોપી અખતર કચરા સામે અગાઉ મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાઇ ચૂકયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ડિપ્રેશનમાં રહેતા આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત કલ્પેશભાઈ નિર્મલભાઈ વડેચા (ઉં.વ.48) આજે સવારે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે રૂમમાં લાકડાની આડીમાં વાયર બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કલ્પેશભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે બે બહેનોના એકના એક ભાઈ હતા તેઓ કલ્પેશ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આ પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું. વાહન સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત રાજકોટ નજીક એસટી વર્કશોપ પાછળ રહેતા નવીન મનસુખભાઇ ચૌહાણ (ઉં.વ.28) કોઈ કામથી રાવકી નજીક એક્ટિવા લઈ જતો હતો ત્યારે મામા દેવના મંદિર પાસે ખૂંટીયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું અને તેને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં આજ રોજ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. નવીન બે ભાઈમાં મોટો હતો અને કારખાનામાં નોકરી કરતો હતો. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ક્રિકેટ રમી રહેલા યુવકને બાઇકે હડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું મહંમદ મુમતાઝ (ઉ.વ.28) નવાગામ સ્થિત સ્વતિક ફૂડ કંપનીમાં છેલ્લા 5 વર્ષથી મજુરી કામ કરતો હતો. ગત તા.18ના રોજ મોહમદ કંપનીની પાછળના ભાગે સીમેન્ટ રોડ બાદ ખુલ્લી જગ્યામાં બપોરના 12.30 વાગ્યાની આસપાસ અન્ય શ્રમિક યુવાનો સાથે ક્રીકેટ રમતો હતો. ત્યારે ત્યાંથી છુટક મજુરી કામ કરતો જય કરણ શાહુ જીજે.03.બીએલ.5264 નંબરનું બાઈક લઇ નીકળ્યો હતો અને તેણે મહંમદ મુમતાઝને હડફેટે લીધો હતો જેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો તેને માથામાં હેમરેજ થઇ જતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલો 'ચિંતા ચોક' આજે તેના નામ પ્રમાણે જ લોકો માટે ચિંતાનો વિષય બન્યો હતો. ટ્રાફિક અને લોકોની અવરજવરથી સતત ધમધમતા આ જાહેર રસ્તા પર અચાનક શાંતિ ડહોળાઈ હતી. સામાન્ય રીતે વ્યવહારું વાતો થતી હોય ત્યાં આજે ચીસાચીસ અને બૂમરાણ મચી ગઈ હતી. જાહેર માર્ગ પર જ હિંસક દૃશ્યો સર્જાતા વાહનચાલકો પણ થંભી ગયા હતા અને જોતજોતામાં આખું વાતાવરણ તંગ બન્યું હતું. મહિલાઓ અત્યંત આક્રમક રીતે વાળ ખેંચી એકબીજા પર તૂટી પડતી જોવા મળી હતી. લારી મુકવા બાબતે મહિલાઓ વચ્ચે મારામારીઆ આખી ઘટનાનું મૂળ માત્ર એક નાની જગ્યા હતા. રોડ પર લારી ક્યાં મૂકવી અને પાથરણું ક્યાં પાથરવું તે બાબતે બે પક્ષની મહિલાઓ સામાસામે આવી ગઈ હતી. જે ઝઘડો સામાન્ય બોલાચાલીથી શરૂ થયો હતો તેણે જોતજોતામાં ઊગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજીવિકા મેળવવા માટેની જગ્યાના વિવાદમાં મહિલાઓ પોતાની મર્યાદા ભૂલીને રસ્તા વચ્ચે એકબીજા પર તૂટી પડી હતી. જાણે રસ્તો રણમેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું. મહિલાઓ એકબીજાના વાળ ખેંચી ઢોર માર માર્યોસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણથી ચાર મહિલાઓ એકબીજાને ઢોર માર મારી રહી હતી. કોઈ મહિલા બંને હાથે મુક્કાબાજી કરી રહી હતી, તો કોઈએ સામેવાળી મહિલાના વાળ પકડીને તેને રસ્તા પર ઢસડી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક મહિલાને ત્રણ-ચાર સ્ત્રીઓએ મળીને વાળથી પકડી રાખી હતી અને સતત તેને માર મારી રહી હતી. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ અવાક રહી ગયા હતા. માથાકૂટમાં વચ્ચે પડનાર યુવકને પણ મેથીપાક મળ્યોઆ હિંસક મારામારી ચાલી રહી હતી, ત્યારે ભીડમાંથી એક પુરુષે હિંમત બતાવીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં ઉશ્કેરાટ એટલો વધારે હતો કે સમાધાન કરાવવા ગયેલા આ પુરુષને પણ અન્ય પુરુષોએ માર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, શાંતિ સ્થાપવા ગયેલા વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો. આમ, મહિલાઓના આ ઝઘડામાં આસપાસના લોકો પણ લપેટામાં આવી ગયા હતા. લોકો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યાઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ મોટાભાગના લોકો આ હિંસાને અટકાવવાને બદલે પોતાના મોબાઈલમાં કેદ કરવામાં વ્યસ્ત હતા. રસ્તા વચ્ચે ખેલાયેલા આ ‘શેરી યુદ્ધ’ના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયા છે. એક મહિલા બીજી મહિલાના વાળ પકડીને તેને જોરજોરથી ઢસડી રહી હતી અને તેને નીચે પાડી દેવા મથતી હતી. દૃશ્યોમાં તો ત્યાં સુધી જોવા મળ્યું કે ત્રણથી ચાર મહિલાઓ ભેગી મળીને એક જ મહિલાને ઘેરી વળી હતી અને તેના વાળ ખેંચીને તેને હલવા પણ દેતી નહોતી. કોઈ મહિલા બંને હાથથી મુક્કાનો વરસાદ કરી રહી હતી, તો કોઈ ગુસ્સામાં સામેવાળી વ્યક્તિ પર લાતો ચલાવતી દેખાય છે. રસ્તા વચ્ચે પછડાટ ખવડાવવા અને કપડાં ખેંચવા સુધીની આ હિંસક મારામારીમાં માન-મર્યાદા જાણે નેવે મૂકાઈ હોય તેવું વીડિયો જોતા જણાય છે. પોલીસે સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી: પીઆઇઆ સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાલમાં મારામારી અંગે એક અરજી મળી છે. પ્રાથમિક તપાસમાં લારી મૂકવા બાબતે વિવાદ થયો હોવાનું બહાર આવ્યું છે. સત્ય શું છે અને કોણે હિંસા ભડકાવી તે જાણવા માટે પોલીસ હવે સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે.
પશ્ચિમ રેલવેએ ટ્રેનોની ગતિ વધારી:પ્રતાપનગર-જોબટ અને આણંદ-ગોધરા ખંડ પર મુસાફરી સમય ઘટશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે પ્રતાપનગર-જોબટ અને આણંદ-ગોધરા રેલખંડ પર ટ્રેનોની ગતિમાં વધારો કર્યો છે. આ નિર્ણયથી મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેના પરિણામે યાત્રીઓને વધુ સુવિધાજનક અને સમયબદ્ધ રેલ સેવા મળશે. આ પગલું યાત્રીઓની સુવિધા, સમયપાલનમાં સુધારો અને સંચાલન ક્ષમતા વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે. વડોદરા મંડળ હેઠળના પ્રતાપનગર-જોબટ રેલખંડ પર કુલ સાત ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે. ટ્રેન નંબર 59122 છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જરના મુસાફરી સમયમાં 20 મિનિટની બચત થશે, જ્યારે ટ્રેન નંબર 59123 પ્રતાપનગર-જોબટ પેસેન્જરના મુસાફરી સમયમાં 10 મિનિટનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ટ્રેન નંબર 59124 જોબટ-પ્રતાપનગર પેસેન્જર, ટ્રેન નંબર 59118 અલીરાજપુર-પ્રતાપનગર પેસેન્જર, ટ્રેન નંબર 59125 પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર, ટ્રેન નંબર 59117 પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર અને ટ્રેન નંબર 59121 પ્રતાપનગર-અલીરાજપુર પેસેન્જરના મુસાફરી સમયમાં 5 મિનિટની બચત થશે. આણંદ-ગોધરા રેલખંડ પર પણ બે મેમૂ ટ્રેનોની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 69145 આણંદ-ગોધરા મેમૂના મુસાફરી સમયમાં 10 મિનિટ અને ટ્રેન નંબર 69146 ગોધરા-આણંદ મેમૂના મુસાફરી સમયમાં 5 મિનિટનો ઘટાડો શક્ય બન્યો છે.
દેશના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સોમનાથ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના સરદાર પરિસરમાં યોજાશે, જેમાં વિવિધ કલાકારો દેશભક્તિ, લોકસંસ્કૃતિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ રજૂ કરશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અને વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈણાજ કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે કાર્યક્રમની સફળતા માટે સંલગ્ન તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સોમનાથ જેવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળે યોજાનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો ન રહે, પરંતુ દેશપ્રેમ, એકતા અને ભારતીય સંવિધાનના મૂલ્યોને ઉજાગર કરતો બની રહે તે દિશામાં આયોજન થવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની સુવિધા, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં સરદાર પરિસરમાં બેઠક વ્યવસ્થા, મંચ સજ્જા, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ, વીજ પુરવઠો, આરોગ્ય અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા, ટ્રાફિક તથા સુરક્ષા વ્યવસ્થાઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓને તેમની જવાબદારીઓ સોંપી યોગ્ય આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ખેતીવાડી, પીજીવીસીએલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા સોમનાથ સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત MKS આલ્કલીઝ એન્ડ કેમિકલ પ્રા. લી. અને જે.કે. ઈન્ટરનેશનલ ટ્રેક લિંક સહિતની 11 પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે GST ચોરીનો પર્દાફાશ કર્યો છે. 5 કરોડની કરચોરી મામલે કેયુર દિપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાની ધરપકડ કરી છે. કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે ઘણી પેઢીઓ અમદાવાદ ખાતે આવેલ એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવેલ હતી. જયારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં સંડોવાયેલી હતી. RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પરના (પેપર ટ્રાન્ઝેક્શન) હોવાનું ફલિત થયેલ. તદુપરાંત, કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ જણાયુ હતું. રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવીરેકોર્ડ આધારિત ચકાસણી મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ.114.89 કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવેલ. આમ, આ તપાસો દરમિયાન મળી આવેલ કર ચોરીની રકમ રૂ.5 કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઇ બે વ્યક્તિઓની ધરપકડ કરી, નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવેલ. જેઓને કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો (ફાઇનાન્શિયલ ટ્રેલ્સ) તથા આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય GST વિભાગ કરચોરી સામે કડક કાર્યવાહી કરવા અને સરકારની આવકનું સંરક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સુનિશ્ચિત કરે છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર સ્થાને હિતેન્દ્રસિંહ ચૌહાણે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધાર્મિક પ્રસંગે તેમની સાથે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી અને પ્રદેશ કારોબારી સભ્ય ડો. ભરત ડાંગર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને અન્ય મહાનુભાવોએ પણ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, આ મહાનુભાવોએ મંદિરના પટાંગણમાં હાજર રહી સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ કરવી ભારે પડી છે. પહેલા B.com સેમ 1ની પરીક્ષાની તારીખ 22થી શરૂ થતી હોવાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. CAની પરીક્ષા 22 તારીખે હોવાથી B.com ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 22 તારીખની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવવામાં આવી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવતા 30 હજાર જેટલી હોલ ટિકિટ ફરી છાપવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓને બોલાવીને નવી હોલ ટિકિટ સોંપવામાં આવી હતી. જોકે, તે બાદ પરીક્ષા નિયામક અને કોમ્પ્યુટર સેન્ટરના ડિરેક્ટર દોષનો ટોપલો એક બીજા પર થોપવા લાગ્યા હતા. તેમજ બંને વિભાગ વચ્ચે સંકલન ન હોવાથી જૂની હોલ ટિકિટમાં તારીખની સિક્વન્સ પણ ખોટી રીતે ગોઠવવામાં આવી હતી. યુનિવર્સિટીની ભૂલના કારણે નવી હોલ ટિકિટનો ખર્ચો વિદ્યાર્થીઓની ફીમાંથી વસૂલવામાં આવશે. 59 વર્ષીય વૃદ્ઘ સાથે 60 હજારની સાયબર ઠગાઈઆંબાવાડીમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધને 5 મહિના પહેલા બેંકનો મેસેજ આવ્યો હતો. જેમાં 10 હજારના 12 ટ્રાન્ઝેક્શન થયા હતા. જેથી તેમણે ક્રેડિટકાર્ડમાંથી થયેલા ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે બેંકમાં ફોન કર્યો હતો. આ ટ્રાન્ઝેક્શન રોકવામાં આવે તે પહેલા 60 હજાર રૂપિયા કોઇ ઓનલાઇન શોપિંગ એપમાં ટ્રાન્સફર થઇ ગયા હતા. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને જાણ કરી હતી. જે બાદ તે અરજી એલિસબ્રિજ પોલીસને ટ્રાન્સફર કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવક પર ત્રણ લોકોનો હુમલોકુબેરનગર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે ગઈકાલે કપડાની ખરીદી કરવા કોટ વિસ્તારમાં ગયો હતો. બપોરે તે ઘીકાંટા કોર્ટ પાસે પહોંચ્યો ત્યારે ત્રણ શખસોએ આવીને યુવકને ઢોર માર માર્યો હતો. જોકે ત્રણ પૈકી એક આરોપીની પત્ની સાથે આ યુવકને આડા સંબંધ હોવાનો વ્હેમ રાખીને તેના પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને માર મારનારા ત્રણ લોકો સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં પાનમ સિંચાઈ વિભાગના પાણી વિતરણ શિડ્યુલ સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલથી નારાજ ખેડૂતોએ સમયસર પાણી ન મળવાની ભીતિ વ્યક્ત કરી છે, જેના કારણે 1000 હેક્ટરથી વધુ ઉનાળુ પાક સુકાઈ જવાનો ભય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્તમાન શિડ્યુલ ખેતી માટે અનુકૂળ નથી. તેઓ ડાંગરના પાકને બચાવવા માટે 1 ફેબ્રુઆરીથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં અંદાજે 1000 હેક્ટરથી વધુ જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ખેડૂતોના મતે, જો 21 ફેબ્રુઆરી સુધી પાણી રોકી રાખવામાં આવશે, તો પાણીના અભાવે ડાંગરનો પાક સુકાઈ જશે અને તેમને મોટું આર્થિક નુકસાન થશે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું કે, આ બાબતે સિંચાઈ વિભાગને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં શિડ્યુલમાં કોઈ ફેરફાર ન થતાં ખેડૂતોએ આજે રોષ પ્રગટ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાણી છોડવાનો નિર્ણય નહીં લેવાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
ટ્રમ્પની નીતિઓથી 56% અમેરિકન અસંતુષ્ટ છે. માત્ર 37% લોકો જ ટ્રમ્પની નીતિઓથી ખુશ છે. આ કોઈ હવાબાજી નથી. આ મારિસ્ટ પોલનું રિસર્ચ છે. જેના વિશે આપણે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે 60થી વધુ દેશોના 3 હજારથી વધુ નેતાઓ દાવોસની વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં મળ્યા છે. જેમાં આજે ટ્રમ્પે પણ ભાષણ આપ્યું. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે યુરોપના 27 દેશોના સંગઠન યુરોપિયન યુનિયને ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત આગળ વધારી દીધી છે. એટલે કે આનાથી ભારતમાં 10 લાખ નોકરી પેદા થશે અને યુરોપ અને ભારતના અંદાજે 200 કરોડ લોકોને નોકરી કે ધંધામાં ફાયદો થવાનો છે. ટ્રમ્પે વિશ્વભરમાં ટેરિફનો વરસાદ કર્યો છે; જેમાં તેના મિત્ર હોય તેવા દેશો પણ સામેલ છે. ત્યારે વિશ્વના મોટા દેશો હવે ટ્રમ્પથી કંટાળીને ધીમે-ધીમે અમેરિકાથી છેડો ફાડીને તેની સામે બાથ ભરવા ભેગા થઈ રહ્યા છે. આજે આપણે આ બધા જ વિષય પર વાત કરીશું અને સમજીશું કે અમદાવાદ કે અમરેલીમાં બેઠેલા વ્યક્તિને આનાથી શું ફાયદો શું નુકસાન. નમસ્કાર... સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં અત્યારે માઈનસ 10 ડિગ્રી તાપમાન છે, પણ તેની ઠંડી સુરતના વેડરોડ અને મોરબીના ટાઈલ્સ યુનિટ્સમાં પણ અનુભવાઈ રહી છે. આપણને થાય કે બરફના પહાડો વચ્ચે બેસીને ટ્રમ્પ કે ઈમેન્યુઅલ મેક્રોન જેવા ભદ્ર નેતાઓ બોલે તેનાથી વરાછામાં બેઠેલા હીરાના કારખાનેદાર કે અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીને શું લેવા દેવા? અમેરિકા સામે ન્યૂ વર્લ્ડ ઑર્ડરની એન્ટ્રી તો વાત કંઈક એમ છે કે આ બેઠકનું નામ છે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ. ઈકોનોમિક એટલે અર્થ અને આપણી ભાષામાં તેનો મતલબ થાય છે પૈસા. આ જ વિષયનો બીજો ભાગ જોઈએ તો આ જ બેઠકમાં ટ્રમ્પના પાગલપણાથી કંટાળી વિશ્વની નવી વ્યવસ્થા એટલે કે ન્યૂ વર્લ્ડ ઓર્ડર પણ આકાર લેવા જઈ રહ્યો છે. આવી જ બેઠકો આપણી થાળીમાં દાળ રોટલી, થેલીમાં શાકભાજીના અને શેરબજારના પોર્ટફોલિયો સુધીના ભાવ નક્કી કરે છે. અમેરિકન સ્વાર્થ વિશ્વ માટે વર્ચસ્વનો જંગ વર્ષ 2026ની વર્લ્ડ ઈકોનોમિક ફોરમની થીમ છે સ્પિરિટ ઓફ ડાયલોગ એટલે કે સંવાદની ભાવના, પણ અંદર તો કંઈક બીજી જ ખીચડી રંધાઈ રહી છે. આ બેઠક અમેરિકા માટે કે તેના સમર્થનવાળા દેશો માટે ભલે સંવાદ હોય પણ વિશ્વ માટે તો વર્ચસ્વનો જંગ બની ગઈ છે. યુનાઈટેડ નેશન્સ હોય, નાટો હોય કે યુરોપિયન હોય, આ બધી જ વ્યવસ્થાઓ તૂટવાની છે અને વિશ્વમાં અર્થવ્યવસ્થા અને પાવરની એક નવી જ દુકાન ઉભી થવા જઈ રહી છે. અને આ દુકાનનો વેપારી હવે ટ્રમ્પની શરતોથી નહીં પણ પોતાની શરતોથી ચાલશે. ગ્રીનલેન્ડના કારણે વિશ્વ એક મંચ પર ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં તેણે ચીનને પરેશાન કર્યું. બીજા કાર્યકાળમાં વિશ્વને ટેરિફ, ધમકી, આર્મી એક્શન વગેરેથી હેરાન કર્યું. એમાં પણ વેનેઝુએલા પર કબજો મેળવી લીધા બાદ ધેલા થયેલા ટ્રમ્પ બીજા આઠ દેશો પર અમેરિકાનો ઝંડો ફરકાવવાના સપના જોઈ રહ્યા છે. પણ પોતાના નળિયા પર કાંકરો પડે તે કોઈ ઘરધણી સહન ન કરે. અમેરિકાના ગ્રીનલેન્ડ પર કબજો કરવાના દાવાના કારણે ડેનમાર્ક, યુરોપિયન યુનિયન અને કેનેડા સહિત મોટા ભાગના દેશો હવે ખાર ખાઈ ગયા છે. ફ્રાન્સને વિશ્વની વાઇન રાજધાની કહેવામાં આવે છે. એવામાં ટ્રમ્પે વાઈન પર 200 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી જેના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં કહી દીધું કે, ફ્રાન્સ ધમકીમાં નહીં, સન્માનમાં વિશ્વાસ રાખે છે. આ જ બેઠકમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહી દીધું કે, અમેરિકાના નેતૃત્વવાળી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હવે ખતમ થઈ ગઈ છે. દુનિયા એક નવી અસ્થિર, સંઘર્ષવાળી વ્યવસ્થા તરફ વળી રહ્યું છે. જૂનો વૈશ્વિક ક્રમ પાછો નહીં આવે. ઝેલેન્સ્કી-રામાફોસા સામે વર્તનનો ઉનો રિવર્સ આ જ બેઠકમાં ડેનમાર્કના સાંસદ અને યુરોપિયન સંસદના સભ્ય એન્ડર્સ વિસ્ટિસને તો દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મંચ પર ટ્રમ્પને ગંદી ગાળ આપી દીધી છે. ટૂંકમાં ટ્રમ્પ જે રીતે દુનિયા સાથે વર્તન કરે છે ચાહે એ રામાફોસા હોય કે ઝેલેન્સ્કી હોય તેવી જ ભાષામાં હવે દુનિયાના નેતાઓએ પણ ટ્રમ્પ સાથે વાત કરવાનું શરૂ કરી દીધું છે. કોઈ સેફ નથી, બધા ટ્રમ્પથી હેરાન ટ્રમ્પની નીતિઓમાં જે દેશો ધ્યાન નથી આપતા અથવા જે દેશો એવું માને છે કે ટ્રમ્પથી આપણે કોઈ નુકસાન નથી તેવા લોકોને પણ માર્ક કાર્નીએ કહ્યું છે કે તમે ટેબલ પર ન હોવ તો મેન્યૂમાં તો છો જ... આ બધી જ પરિસ્થિતિ આવી છે વેનેઝુએલા બાદ ગ્રીનલેન્ડ હડપી લેવાની ટ્રમ્પની જીદના કારણે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનું છે, ડેનમાર્ક યુરોપિયન યુનિયનનો ભાગ છે એટલે ગ્રીનલેન્ડ પર હુમલો એટલે યુરોપિયન યુનિયન પર હુમલો. જો કે ટ્રમ્પ આવું કરવા એટલા માટે માગે છે કારણ કે ગ્રીનલેન્ડનો બરફ પીગળી રહ્યો છે. જેની અસરે તેની જમીનમાં દટાયેલા રેર અર્થ મિનરલ્સ બહાર આવી રહ્યા છે. આ જ મિનરલ્સથી આપણા સ્માર્ટ ફોન્સ અને ઈલેક્ટ્રીક કાર સહિત બીજી વસ્તુઓ પણ ચાલે છે. જેના કારણે યુરોપ હવે સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અમેરિકા પર નિર્ભર રહેવાની જગ્યાએ ઓપશન્સ શોધી રહ્યું છે. EUની અમેરિકાને લાત, ભારત સાથે વાત જ્યારે આ બધુ ચાલી રહ્યું હોય છે ત્યારે યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનના મોઢે એક એક શબ્દ બહાર આવે છે મધર ઓફ ડિલ્સ. આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે EU હવે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થા ભારત તરફ નજર કરીને બેઠું છે. ભારત માટે પણ ટ્રમ્પના ટેરિફ સામે આ ડિલ એક ઈન્સ્યોરન્સ છે. આ ડીલથી ભારત અને યુરોપિયન યુનિયન્સના દેશો એકબીજા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકશે. આનાથી યુરોપના 27 દેશો અને ભારતના 140 કરોડ લોકો એમ મળીને કૂલ 200 કરોડ જેટલા લોકોને ફાયદો થવાનો છે. આ સોદાથી કાપડ, ફૂટવેર, કપડા અને ચામડા જેવા ક્ષેત્રોમાં 10 લાખથી વધુ લોકોને નોકરી મળી શકે છે. યુરોપથી આવતી કાર અને બાઈક્સ સહિતની ઘણી વસ્તુઓના ભાવ પણ ઘટી શકે છે. યુરોપમાં ટૂંકા ગાળાના વિઝા મળવાના કારણે ભારતના IT, મેડિકલ, ડોક્ટરી ક્ષેત્રના લોકોને પણ ફાયદો મળવાનો છે. ગ્રીન એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ મેન્યુફેકચ્રિંગમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ થઈ શકે તેવો પણ અંદાજ છે. જો કે બધું સારું જ નથી આ ડિલથી દવાના ભાવ વધી શકે છે અને નવા MSMEનું ગળું પણ ટૂંપાઈ શકે છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ડાવોસમાં એક મહત્વનું ભાષણ આપ્યું છે. અમેરિકાનું કહેવું છે કે વિશ્વ વેપારી યુરોપિયન હાલ કશું જ નથી, એવામાં ટ્રમ્પે શું નથી કહ્યું તે આ ભાષણમાં જાણવા જેવું છે. વૈશ્વિક GDPમાં હિસ્સો (1990 અને 2025) યુરોપ: 25%થી ઘટીને 14% અમેરિકાઃ 22%થી ઘટીને 14% ચીન: 4%થી વધીને 20% રશિયાની પરિસ્થિતિની વાત કરીએ તો યુક્રેન યુદ્ધના કારણે તેની પણ હાલત ખરાબ છે. યુક્રેન યુદ્ધ બાદ રશિયા-યુરોપ સંબંધો ગેસની આયાત અગાઉ 45%, હાલ 13% કોલસાની આયાત અગાઉ 51%, હાલ ઝીરો ક્રુડ ઓઈલની આયાત અગાઉ 26%, હાલ 2% યુરોપનો રશિયા મોહ ભંગ થયો ટૂંકમાં યુરોપે રશિયન ગેસ, તેલ અને કોલસા પરની પોતાની નિર્ભરતા લગભગ ખતમ કરી દીધી છે અને ભવિષ્યમાં તેને કાયમ માટે બંધ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. ડેવોસ મુલાકાત બાદ ઉર્સેલા ભારત આવવાના છે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત આગળ વધારશે. EUનો ટેરિફ ઓછો આપણો વધારે ભારત અને EU વચ્ચેના વેપારમાં હાલ ટેરિફ અસમાનતા આવી રહી છે. યુરોપિયન કંપનીઓ આપણી પાસેથી ઓછો ટેરિફ વસૂલે છે પણ આપણે યુરોપિયન કંપનીઓ પાસેથી જંગી ટેરિફ વસૂલીએ છીએ. બીજી તરફ, ભારત ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મેળવવા માંગે છે. મધર ઓફ ડિલનું ગણિત સમજો ભારત EUને 75.9 બિલિયન ડોલરનો માલ મોકલે છે EU ભારતને 60.7 બિલિયન ડોલરનો માલ મોકલે છે. ભારત અને યુરોપ વચ્ચે કુલ વેપાર 130 બિલિયન ડોલર આસપાસ ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો બંને વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 250 બિલિયન ડોલર આસપાસ થઈ શકે છે. EUનો સૌથી મોટો વેપારી દેશ અમેરિકા છે જ્યારે ભારત બીજા નંબરે છે. જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો ભારત પહેલા નંબરે પહોંચે. ભારતના સૌથી મોટા વેપારી દેશોમાં EU 9મા નંબરે છે જે FTA બાદ 5મા નંબર અંદર પહોંચી શકે મધર ઓફ ડિલથી આપણને શું ફાયદો? જો ભારત અને યુરોપ વચ્ચે મધર ઓફ ડિલ થઈ જાય તો આજથી પાંચ વર્ષ કે તેથી વધુ સમય બાદ ઓડી, મર્સિડિઝ, બીએમડબલ્યૂ અને વોક્સવેગનની કારની કિંમત સસ્તી થઈ શકે, દારુ સસ્તો થઈ શકે, કોમ્પ્યુટર-મેડિકલ ડિવાઈઝ-ઈન્ડસ્ટ્રીયલ મશીનરી- મહિલાઓના કોસ્મેટિક્સ વગેરેના ભાવ ઘટી શકે. યુરોપ અમેરિકાની લડાઈમાં ભારત ખાટ્યું ટ્રમ્પ ગાઝાને ફરીથી ઉભું કરવા બોર્ડ ઓફ પીસ બનાવીને દુનિયાના 60 દેશ પાસેથી 10-10 હજાર કરોડ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે તેના જવાબમાં વિશ્વ અત્યારે ધાક ધમકીથી ડરીને સ્વતંત્ર વેપાર અને સાર્વભૌમત્વ પર ભાર મૂકી રહ્યા છે. ઉપરથી યુરોપ હવે પહેલાની જેમ ચીન અને અમેરિકા પર નિર્ભર રહેવા માગતું નથી. માટે યુરોપ અમેરિકાની લડાઈથી ભારત ખાટી ગયું છે. યુરોપ સામે મુશ્કેલી એ છે કે તે નાટોનું સભ્ય છે. આ એક મિત્ર દેશ સંગઠન છે જે નાટોના કોઈ એક દેશ પર હુમલો એટલે તમામ નાટો દેશો પર હુમલો તેવું માને છે. જો કે ટ્રમ્પે નાટો દેશોને પણ ગ્રીનલેન્ડ જીદના કારણે નથી છોડ્યા. માટે હવે નાટોના ધી એન્ડના કારણે યુરોપે પોતાની રક્ષા જાતે જ કરવી પડશે. જેમાં ડિફેન્સમાં કરોડો ડોલર્સ ખર્ચાશે. અને છેલ્લે… ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને તેમના ડેપ્યુટી પીએમને ખખડાવીને હાંકી કાઢ્યા છે. તેણે કહ્યું કે યાંગ મોટી જવાબદારીઓ સંભાળવા લાયક જ નથી. અમારી કેડર એપોઈન્ટમેન્ટ સિસ્ટમમાં ભૂલ થઈ છે. કૂતરાંને એવું લાગે કે તે ગાડું ખેંચી રહ્યું છે તો તેને સમજી જવું જોઈએ કે ગાડું બળદ જ ખેંચે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
દાંતીવાડા તાલુકાના ભાકોદર સ્થિત શ્રી ખેતલા બાપજી મંદિરે રબારી સમાજની ઝોનકક્ષાની બેઠક યોજાઈ હતી. ધાનેરા વિભાગના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આ બેઠક સામાજિક બંધારણ અંગે ચર્ચા કરવા માટે મળી હતી. આ બેઠકમાં રબારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ દ્વારા સમાજને આગળ વધારવા અપીલ કરવામાં આવી હતી. સમાજ સુધારણા અને ભવિષ્ય નિર્માણના હેતુથી આયોજિત આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો. ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન આગામી ૨૫ જાન્યુઆરી, રવિવારે શ્રી એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ, સમશેરપુરા ખાતે યોજાનાર છે. આ મહાસંમેલનના આયોજન માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર ભામાશા માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને મહાસંમેલનના ભોજન દાતા ડી.કે. દેસાઈ (દામા)ની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. માવજીભાઈ દેસાઈએ રબારી સમાજને કુરિવાજોથી થતા ખોટા ખર્ચાઓ અટકાવી સામાજિક બંધારણમાં સહભાગી બનવા અને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા હાકલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને યુવાનોએ સમાજ સુધારણા તરફ વળવા માટે વિવિધ સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકને સફળ બનાવવા માટે આગેવાનો સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
NMC દ્વારા 'ચિંતન શિબિર 2026'નું આયોજન:શહેરના સર્વાંગી અને ટકાઉ વિકાસ પર મનોમંથન
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે નિષ્ણાતોની હાજરીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં AI, ઈ-ગવર્નન્સ અને ટાઉન પ્લાનિંગ જેવા વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫–૨૬ ને “ગુજરાત શહેરી વિકાસ વર્ષ” તરીકે જાહેર કર્યું છે. આ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના ભવિષ્યલક્ષી આયોજન માટે NMC ટાઉન હોલ ખાતે “ચિંતન શિબિર ૨૦૨૬”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી શહેરી વિકાસના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વિકાસ માત્ર કાગળ પર મર્યાદિત ન રહેતા તેનું પાયાના સ્તરે અસરકારક અમલીકરણ થાય તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના વહીવટદાર ક્ષિપ્રા આગ્રેએ વહીવટી દૃષ્ટિકોણથી આંતરવિભાગીય સંકલન અને વિકાસ યોજનાઓના ઝડપી અમલ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા. શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ હાજર રહીને આધુનિક ટેકનોલોજી અને પ્લાનિંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં AI અને ઈ-ગવર્નન્સ, રોડ ડેવલપમેન્ટમાં ગુણવત્તા નિયંત્રણ, પર્યાવરણીય ઇજનેરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ (પાણી, ડ્રેનેજ, વીજળી), અને રિવરફ્રન્ટ તથા જાહેર બગીચાઓના નિર્માણ દ્વારા શહેરના સૌંદર્યીકરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. શિબિરમાં માત્ર ગંભીર ચર્ચાઓ જ નહીં, પરંતુ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે ‘ટીમ બિલ્ડિંગ’ અને ‘ઓફિસ એટિકેટ્સ’ (વ્યાવસાયિક વર્તન) પર પણ સત્રો યોજાયા હતા. ‘Learn with Fun’ અભિગમ હેઠળ વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા અધિકારીઓમાં જૂથ ભાવના કેળવવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમના અંતમાં AB સ્કૂલના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી અવેરનેસ પર એક નાટક પ્રસ્તુત કર્યું હતું. જેણે ઉપસ્થિત તમામને આગ સામે સુરક્ષા અને સાવચેતીનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. આ શિબિર નવસારીના વિકાસમાં નવી ઉર્જા અને દિશા આપનારી સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી એક ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 57.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 70.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી, વાહનોમાં છુપાવીને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ચોક્કસ માહિતી મેળવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ L.C.B. અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમોએ હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર મોરવાડ ગામના પુલ પાસેથી એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટ્રક (રજી.નં. GJ 01 CX 4077) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા, સોયાબીનના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 750 એમ.એલ.ની કુલ 4396 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત 57,60,600 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 580 સોયાબીનના મીણીયાની થેલીઓ (કિંમત 2,61,000 રૂપિયા), ટ્રક (કિંમત 10,00,000 રૂપિયા) અને એક મોબાઈલ ફોન (કિંમત 5,000 રૂપિયા) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ 70,26,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર રામભાઈ અજાભાઈ મોરી (રહે. ફુલીવાવ નેશ, નાગકા ગામ, તા./જી. પોરબંદર) ને પકડી પાડી તેની વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં જગાભાઈ રીણાભાઈ રબારી (રહે. ખાંપટ ગામ, તા./જી. પોરબંદર), ભીલવાડાની સહયોગ હોટલ ખાતે દારૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર જામનગરનો અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ કામગીરી L.C.B. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ તથા સ્ટાફના પ્રવિણભાઈ કોલા, કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં બાકી મિલકત વેરા સામે કડક રિકવરી અને સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ 100થી વધુ કર્મચારીઓની ટીમે કાર્યવાહી કરી 47 મિલકતોને સીલ કરી હતી. ગઇકાલે એક જ દિવસમાં તંત્રને ત્રણેય ઝોનમાંથી કુલ 1.60 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે રૂ. 454 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂ. 334 કરોડની વસૂલાત પૂર્ણ કરી છે. મનપા તંત્ર દ્વારા રહેણાંક, વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક એકમોના એવા મિલકત ધારકોની યાદી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, જેનો 5,000 કે તેથી વધુનો વેરો બાકી છે. અને તાકીદ પણ કરવામાં આવી છે કે, જો બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા, નળ કનેક્શન કાપવા અને મિલકતની હરાજી જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને મિલકતધારકો ઓનલાઈન માધ્યમ, વોર્ડ ઓફિસ તેમજ સિટી સિવિક સેન્ટર પર જઈને પોતાનો વેરો જમા કરાવી રહ્યા છે. મનપામાં સ્ટ્રીટલાઇટની 9 મહિનામાં 40985 ફરિયાદો નોંધાઈરાજકોટ મહાપાલિકામાં ડ્રેનેજ બાદ સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટલાઇટ વિભાગમાં મળી રહી છે. જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા આંકડા મુજબ 1-4-25થી 31-12-25 દરમિયાન શહેરમાં એલઇડી લાઇટને લગતી કુલ 40985 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં સૌથી વધુ વોર્ડ નં.13માં 3624 અને સૌથી ઓછી વોર્ડ નં.2માં 1109 ફરિયાદોનો સમાવેશ થાય છે. તંત્રના જણાવ્યા અનુસાર નોંધાયેલી તમામ ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. શહેરમાં હાલ કુલ 79964 સ્ટ્રીટલાઇટ છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં નવી 1539 લાઈટોનો ઉમેરો કરાયો છે. સૌથી વધુ 7065 લાઈટો વોર્ડ નં.3માં આવેલી છે. ફરિયાદોના પ્રકાર પર નજર કરીએ તો સૌથી વધુ 25257 ફરિયાદો વ્યક્તિગત લાઈટ બંધ હોવાની અને 13451 ફરિયાદો આખો વિસ્તાર બંધ હોવાની નોંધાઈ હતી. આ ઉપરાંત એંગલ બદલવા માટે 545, ડેમેજ લાઈટની 901 અને શોર્ટસર્કિટની 251 ફરિયાદો સામેલ છે. મનપા દ્વારા મેન્ટેનન્સ માટે અલગ-અલગ એજન્સીઓને કામ સોંપાયું હોવા છતાં ફરિયાદોનું પ્રમાણ ચિંતાજનક રહ્યું છે. રાજકોટ મનપાએ કપાતના નામે ખેડૂતો પાસેથી પ્લોટ લઈ લીધારાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમમાં 40 ટકા કપાતના નામે ખેડૂતો પાસેથી મોટી માત્રામાં જમીન મેળવી તેનું વેચાણ કરવાની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાએ અત્યાર સુધીમાં વિવિધ હેતુઓ માટે અનેક પ્લોટ ખેડૂતો પાસેથી મેળવ્યા છે, જેની કિંમત અબજો રૂપિયા થવા જાય છે. તાજેતરમાં મનપાએ 7 પ્લોટની હરાજી દ્વારા 360 કરોડ ઊભા કરવાની હિલચાલ શરૂ કરી છે, જેમાંથી 3 પ્લોટના વેચાણ મામલે અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવતા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. મનપાના રેકોર્ડ મુજબ સંપાદિત કરાયેલા પ્લોટમાં આવાસ માટે 448, ગાર્ડન માટે 415, વાણિજ્ય હેતુ માટે 369, રહેણાંક માટે 133, જાહેર હેતુ માટે 106, પાર્કિંગ માટે 79 અને સ્કૂલ-પ્લે ગ્રાઉન્ડ માટે 71 પ્લોટનો સમાવેશ થાય છે. નિયમ મુજબ આ જમીન લોક સુખાકારી માટે વાપરવાની હોય છે પરંતુ, મનપા 502 જેટલા રહેણાંક અને વાણિજ્ય પ્લોટ વેચીને રોકડી કરવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કચ્છના માંડવી ખાતે 14 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન આયોજિત રાજ્યકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં જામનગર એનસીસી ગ્રુપના 594 આર્મી અને નેવી કેડેટ્સ પેરાસેલિંગની તાલીમ લઈ રહ્યા છે. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ સાહસિક તાલીમનો ઉદ્દેશ્ય કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી (સેવાનિવૃત્ત) ગ્રુપ કેપ્ટન એન.એસ. શોકીનના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, પ્રમાણિત ટ્રેનર્સ કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવી રહ્યા છે. આ તાલીમમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ અનુભવ કેડેટ્સને ડરને દૂર કરવા, તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયાકિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો પૂરી પાડે છે. પેરાસેલિંગ તાલીમ કેડેટ્સના આત્મવિશ્વાસ, હિંમત અને અનુકૂલનક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી રહી છે. આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા, શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશીએ કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી, પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. કેડેટ્સના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે એનસીસી આવી રોમાંચક તકો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. બ્રિગેડિયર પી. શશીએ કેમ્પમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી. તેમણે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત પણ કર્યા હતા. પેરાસેલિંગ ઉપરાંત, આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાનપ્રદાન, ડ્રોનનું લોકેશન સ્પોટિંગ-ઓપરેટિંગ, દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજો, નાગરિક સંરક્ષણ અને પ્રાથમિક સારવાર જેવી ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે એક સીમાચિહ્નરૂપ છે, જે એનસીસીના સૂત્ર 'એકતા અને શિસ્ત' અનુસાર જવાબદાર, આત્મવિશ્વાસુ અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે.
અમે ગ્રીનલેન્ડ પર કબજો કરવા મિલિટરી પાવરનો ઉપયોગ કરી શકીએ છીએઃ દાવોસમાં ટ્રમ્પની ચીમકી
Donald Trump statement: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં પોતાનું ભાષણ આપ્યું, જેમાં ટ્રમ્પે કહ્યું કે, ખૂબસૂરત દાવોસમાં પાછા આવવું ખૂબ જ આનંદદાયક છે. અહીં ઘણા બધા બિઝનેસ લીડર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા દુશ્મનો છે, અને બધા સન્માનિત મહેમાનો છે. 'યુરોપ સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી'
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે ₹16 કરોડના ખર્ચે નવા પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાણાં અને પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આ ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી. કે. પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રી કમલેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે, 'મોડર્નાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ' અંતર્ગત આશરે ₹16 કરોડના ખર્ચે કોન્સ્ટેબલ અને પીએસઆઈ કક્ષાના કર્મચારીઓ માટે આધુનિક આવાસો અને નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટ પોલીસ પરિવારોની સુવિધામાં વધારો કરવાના હેતુથી હાથ ધરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની શાંતિ અને પ્રજાના સુખ માટે 24 કલાક કાર્યરત પોલીસ જવાનોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. માલવણ ખાતે નિર્માણ પામનારા આ આવાસો પાર્કિંગ, ગાર્ડન અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પોલીસ વિભાગના માળખાગત વિકાસ માટે કટિબદ્ધ છે. રાજ્યભરમાં પોલીસ જવાનોને વહેલી તકે ગુણવત્તાયુક્ત આવાસો મળી રહે તે લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે. આ નવા આવાસોથી આ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જનતાની સુરક્ષા માટે તૈનાત રહે છે, ત્યારે તેમને અને તેમના પરિવારને ઘર જેવું સુરક્ષિત વાતાવરણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. ધારાસભ્ય પી.કે. પરમારે આ ખાતમુહૂર્તથી પોલીસ જવાનોના જીવનધોરણમાં સુધારો આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, માલવણ પોલીસ સ્ટેશન પાસે લાંબા સમયથી પોતાની બિલ્ડીંગ નહોતી અને સાથે જ પોલીસ કર્મીઓને રહેવા માટે અહીં પોલીસ લાઈનની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. અહીં 24 પોલીસ આવાસ તથા એક પીએસઆઈ ક્વાર્ટર મંજૂર થઈને તેનું કામ પણ ઝડપથી શરૂ થઈ ગયું છે. આ પોલીસ સ્ટેશન ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે, કારણ કે તે કચ્છના હાઈવે પર આવેલું છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, અગ્રણી દિલીપભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત, નિકુંજ પટેલ, પીઆઇ મહેશ બાંમબા સહિત મોટી સંખ્યામાં પોલીસ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
વલસાડમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ. પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલની આગેવાની હેઠળ આયોજિત આ બેઠકમાં જિલ્લા, તાલુકા અને શહેર સ્તરના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના નેતાઓએ રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને બેરોજગારી, ફિક્સ પગાર પ્રથા, 11 માસના કરાર આધારિત નોકરીઓ, વધતો નશાનો પ્રભાવ, શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું કે, NSUI દ્વારા રાજ્યભરમાં “મારું કેમ્પસ ડ્રગ્સ ફ્રી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે ભાવનગરમાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી દારૂની બોટલો અને ગાંજાની વસ્તુઓ મળ્યાની ઘટનાનો ઉલ્લેખ કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવી હતી. તેમણે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. યુથ કોંગ્રેસના નેતાઓએ વાપીમાં છેલ્લા ચાર વર્ષથી અધૂરા રહેલા બ્રિજના કામ અંગે સરકારની નિષ્ક્રિયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, રાજ્યમાં વધતું પ્રદૂષણ, આરોગ્ય સેવાઓની ખામીઓ અને પીવાના પાણીની સમસ્યાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો જનતાના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તેની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને ભોગવવી પડશે. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ઓછામાં ઓછા 20 ટકા ટિકિટો આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે, અસ્થિર રોજગારી અને ફિક્સ પગાર પ્રથાના કારણે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીઓ માત્ર ડિગ્રી આપવાનું કેન્દ્ર બની ગઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસે શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રગ્સના દૂષણ સામે રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી. સુરતમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાને લઈને પણ સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને રાજ્યના 42 જિલ્લાઓમાં પ્રવાસ કરીને યુવાનોને સંગઠિત કરવાની રણનીતિ ઘડી હતી. બેઠક દરમિયાન યુથ કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનોના હિત માટે એકજૂટ થઈ કાર્ય કરવા માટે કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યને ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને વધુ બળ મળશે. વાઘ સંરક્ષણ માટે સ્થાનિકોની ભાગીદારી સાથે કોમ્યુનિટી પાર્ટિસિપેશન તાલીમનું આયોજનવન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી નોંધાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યાં વાઘ સ્થાયી થવાની પૂરતી સંભાવનાઓ હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી વાઘ સંરક્ષણ માટે સ્થાનિક લોકોની ભાગીદારી સાથે કોમ્યુનિટી પાર્ટિસિપેશન તાલીમ આપવાના આયોજન પર ચર્ચા થઈ હતી. ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝિટર્સ પોલિસી ગાઇડલાઇન્સ તૈયારમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વન્યજીવોને કોઈપણ પ્રકારનું નુકસાન કે ખલેલ ન થાય તે માટે ખાસ કાળજી લેવા વન વિભાગને સૂચના આપી હતી. તેમણે ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝિટર્સ પોલિસી ગાઇડલાઇન્સ તૈયાર કરવાની દિશામાં પણ સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા. 18 જેટલી વિવિધ દરખાસ્તોને મંજૂરી માટે રજૂ કરવામાં આવી આ બેઠકમાં ગુજરાતમાં દીપડાઓની વધતી સંખ્યા અને રેસ્ક્યુ કરાયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અલગ અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અભયારણ્ય અને નેશનલ પાર્ક વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન લાઇન સહિતની 18 જેટલી વિવિધ દરખાસ્તોને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો મહેશ કસવાલા, દેવાભાઈ માલમ, માલતીબેન મહેશ્વરી સહિતના સભ્યોએ વન્યજીવ સંરક્ષણ માટેના સૂચનો રજૂ કર્યા હતા. વન્ય પ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહે બેઠકનું સંચાલન કર્યું હતું. આ બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી. સિંઘ તેમજ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ બન્યું સોલારયુક્ત:બનાસકાંઠાનું પ્રથમ ગામ, વીજબિલમાંથી મળી મુક્તિ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું રૂપપુરા ગામ હવે વીજબિલની ચિંતામાંથી મુક્ત બન્યું છે. આ ગામ સંપૂર્ણપણે સોલાર ઊર્જાથી સજ્જ બન્યું છે, જ્યાં મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલથી ગ્રામજનોને વીજબિલ ભરવું પડતું નથી, પરંતુ ઊલટાનું નાણાકીય બચત પણ થઈ રહી છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, શરૂઆતમાં વીજ અધિકારીઓ અને સોલાર સિસ્ટમના નિષ્ણાતો દ્વારા ગ્રામજનો સાથે ગ્રામસભા યોજવામાં આવી હતી. આ સભામાં સોલાર ઊર્જાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેના પરિણામે ગ્રામજનોએ સોલાર સિસ્ટમ અપનાવવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સોલાર સિસ્ટમ લગાવવાથી તેમને વીજબિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને વાર્ષિક રૂ. 5,000 થી 7,000 સુધીની બચત થાય છે. આ સિસ્ટમનો સ્થાપના ખર્ચ પણ ત્રણથી પાંચ વર્ષમાં વસૂલ થઈ જાય છે. સામાન્ય રીતે, 3.30 કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો ખર્ચ આશરે રૂ. 1.50 લાખ થાય છે. જોકે, સરકાર દ્વારા રૂ. 78,000ની સબસિડી આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહકને રૂ. 70,000 થી 80,000 જેટલી રકમ ચૂકવવી પડે છે. સરકારી સબસિડી ઉપરાંત, બનાસ ડેરી દ્વારા ગામના પશુપાલકોને 90% લોન પૂરી પાડવામાં આવી હતી. આનાથી ગ્રાહકો પર આવતું રૂ. 70,000 થી 80,000નું નાણાકીય ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું. બનાસ ડેરીએ પશુપાલકોના ખાતામાંથી માસિક હપ્તા રૂપે નજીવી રકમ કાપીને લોન ચૂકવવાની સુવિધા આપી, જેનાથી ગ્રામજનોને સોલાર સિસ્ટમ અપનાવવામાં સરળતા રહી. સરકારની સબસિડી અને બનાસ ડેરીના સહયોગથી રૂપપુરા ગામના લોકોએ સોલાર ઊર્જા અપનાવીને બચત કરવાનું શરૂ કર્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે. વારંવારની સૂચના છતાં વેરો ન ભરનારા 8,260 બાકીદારોને આખરી નોટિસ ફટકારી કુલ રૂ. 7.26 કરોડની વસૂલાત કરવામાં આવી છે, . જ્યારે જપ્તીની કાર્યવાહી હેઠળ 78 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. મિલકતવેરો બાકી હોય એવી 78 મિલકત સીલ કરવામાં આવીગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકી વસૂલાત અને નિયમ પાલન અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મનપાએ વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં 78 મિલકતો સીલ કરી છે. જ્યારે કાયદાકીય જોગવાઈ હેઠળ બંધ મિલકતોના ધારકોને લાખોની રાહત પણ આપી છે. મિલકતવેરા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે કરદાતાઓએ સમયમર્યાદામાં વેરો ભર્યો ન હતો તેવા 8,260 લોકોને આખરી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના પરિણામે રૂ. 7.26 કરોડની વસૂલાત થઈ છે. જોકે નોટિસ બાદ પણ ઉદાસીનતા દાખવનારા 78 મિલકત ધારકો સામે ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી તેમની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષમાં રૂ. 69.09 કરોડના વેરાની વસૂલાતચાલુ નાણાંકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 1.26 લાખથી વધુ કરદાતાઓ પાસેથી રૂ. 69.09 કરોડનો વેરો વસૂલ થયો છે. જેમાં 47% કરદાતાઓએ એટલે કે 71,091 લોકોએ ડિજિટલ માધ્યમથી રૂ. 32.15 કરોડની ચૂકવણી કરી છે, જ્યારે 53% લોકો એ ઓફલાઇન માધ્યમથી ચૂકવણી કરી છે. વધુમાં વિભાગ દ્વારા કહેવાયું છે કે,જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ જે મિલકતો વપરાશમાં નથી તેવી બંધ અને ખાલી મિલકતોને વેરામાં રાહત આપવામાં આવી છે.ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન મહાનગર પાલિકાએ કુલ 719 મિલકત ધારકોની અરજીઓને ગ્રાહ્ય રાખી છે. આ અંતર્ગત મનપા દ્વારા કુલ રૂ. 38.98 લાખ જેટલી રકમની વેરા માફી મંજૂર કરી કરદાતાઓને આર્થિક રાહત આપી છે.
કાકણપુર યાર્ડમાં ડાંગર ખરીદી 30% વધી:ટેકાના ભાવે ખેડૂતોને વધુ વળતર મળ્યું
ગોધરા તાલુકાના કાકણપુર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે ડાંગરની ખરીદીમાં 30 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ અને પારદર્શક વહીવટને કારણે ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. આંકડાકીય વિગતો અનુસાર, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 58,800 કટ્ટા એટલે કે અંદાજે 20,612 ક્વિન્ટલ ડાંગરની આવક થઈ છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન આશરે 45,000 કટ્ટા એટલે કે 15,750 ક્વિન્ટલ ડાંગરની ખરીદી થઈ હતી. હાલમાં સરકાર દ્વારા ₹474 પ્રતિ મણના ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. ખુલ્લા બજાર કરતાં ટેકાના ભાવ વધુ ફાયદાકારક હોવાથી કાકણપુર પંથકના ખેડૂતો પોતાનો પાક સીધો યાર્ડમાં લાવી રહ્યા છે. યાર્ડમાં પાક લઈને આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં વ્યવસ્થા અને નાણાંની ચુકવણી પ્રક્રિયા પણ વધુ સરળ બની છે.
ભરૂચ NH-48 પર કાર શોરૂમના વર્કશોપમાં આગ:GNFC ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવ્યો, મોટી દુર્ઘટના ટળી
ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર-48 પર વડદલા ગામ નજીક આવેલા શ્રદ્ધા મોટર્સ ફોરવ્હીલર શોરૂમના વર્કશોપમાં આજે સાંજે એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે વર્કશોપ અને શોરૂમમાં હાજર કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ તાત્કાલિક જીએનએફસી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી, જેના કારણે હાજર લોકોએ રાહત અનુભવી હતી. જોકે, આ આગમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
યાત્રી કૃપયા ધ્યાન દે:પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને વેરાવળ માટે ત્રણ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો શરૂ
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અઠવાડિયે 3 પેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના PRO વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, વિશેષ ભાડા પર કુલ ત્રણ પેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ બંને ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશેટ્રેન નંબર 09009/09010 બાન્દ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09009 દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી સાંજે 7:25 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 9:50 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. જ્યારે ટ્રેન નંબર 09010 દર સોમવારે ભુજથી બપોરે 2 વાગ્યેથી ઉપડીને બીજા દિવસે સવારે 5:10 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. ટ્રેન નંબર 09017/09018 બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09017 દર રવિવારે બપોરે 2:40 વાગ્યે બાન્દ્રા ટર્મિનસથી ઉપડીને બીજા દિવસે સવારે 8:5 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. જ્યારે ટ્રેન નંબર 09018 દર સોમવારે સવારે 11:5 વાગ્યે વેરાવળ થઈને બીજા દિવસે સવારે 4:55 મિનિટે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશેટ્રેન નંબર 09011/09012 બાન્દ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09011 દર મંગળવારે રાત્રે 11:55 વાગ્યે બાન્દ્રા ટર્મિનસથી ઉપડીને બીજા દિવસે બપોરે 2:30 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. જ્યારે ટ્રેન નંબર 09012 દર બુધવારે સાંજે 5 વાગ્યે 40 મિનિટે ભુજથી ઉપડીને બીજા દિવસે સવારે 8:45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ તમામ ટ્રેનો બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે. ટ્રેનોમાં એસી ટુ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે. ટ્રેન નંબર 09009, 09010, 09011, 09012, 09017 અને 09018 માટેની બુકિંગ 22 જાન્યુઆરી 2026થી તમામ PRS કાઉન્ટરો તેમજ IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ગોધરા રેલવે ટ્રેક પાસે સૂકા ઝાડી-ઝાંખરા:મુંબઈ-દિલ્હી રૂટ પર દુર્ઘટનાનો ભય, સુરક્ષા સામે પ્રશ્નો
ગોધરા રેલવે સ્ટેશન નજીક ટ્રેકની બંને બાજુએ સૂકા ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પશ્ચિમ રેલવેના વ્યસ્ત મુંબઈ-દિલ્હી રૂટ પર ગોધરા સેક્શનમાં આ સ્થિતિ ગંભીર બેદરકારી સૂચવે છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ રૂટ પરથી રાજધાની એક્સપ્રેસ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થાય છે. આ ઉપરાંત, પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો ભરેલા માલવાહક વેગનો પણ અહીંથી પસાર થાય છે. સૂકા ઘાસમાં નાની ચિંગારી પણ ભયાનક આગનું કારણ બની શકે છે. જો આવા સંજોગોમાં જ્વલનશીલ ટેન્કરો ત્યાંથી પસાર થતા હોય, તો મોટી જાનહાનિ અને માલહાનિ થવાની શક્યતા છે. આ સ્થિતિ રેલવે સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ ઉપરાંત, ટ્રેકની આસપાસ ફેલાયેલી આ ગીચ ઝાડીઓ અસામાજિક તત્વો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગઈ છે. ટ્રેન જ્યારે આઉટર પર ઊભી હોય અથવા ધીમી ગતિએ ચાલતી હોય, ત્યારે આ તત્વો ઝાડીઓનો આશરો લઈને મુસાફરોનો સામાન ચોરવાની ઘટનાઓને અંજામ આપે છે. અંધારાનો લાભ લઈને તેઓ ટ્રેક પરથી ગાયબ થઈ જાય છે, જેના કારણે રેલવે પોલીસને પણ તેમને પકડવામાં મુશ્કેલી પડે છે.
અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે
Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે. ₹500 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે. આ આશ્રમની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ ચાલતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ દ્વારા ભારતના 28 રાજ્યોમાં કુલ 1,229થી વધુ સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા. જેમાં 826 કરોડથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. 9 નકલી પેઢી ઊભી કરી 28 બેંક એકાઉન્ટ ખોલાવ્યાપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઠગાઈ માટે 9 નકલી પેઢીઓ ઊભી કરી હતી અને તેના નામે કુલ 82 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. જેમાં 28 કરંટ એકાઉન્ટ અને 45 સેવિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવા માટે કરવામાં આવતું હતું. ડિજિટલ અરેસ્ટથી લઈને પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ આચરતાઝડપાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગેંગની મોડસઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે ખાતાઓ મેળવતા હતા. ત્યાર બાદ SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, UPI ફ્રોડ, ડિપોઝિટ, લોન તથા પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. 500 કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરાયાઆરોપીઓ ઠગાઈથી મેળવેલી રકમ હવાલા મારફતે સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગ દ્વારા અંદાજે 500 કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુંબઇ અને રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. તેમજ વિદેશી કનેક્શન હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આ સમાચાર પણ વાંચો 212 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપીની ધરપકડસુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માટે આ ચારેય આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ ડોક્યુમેન્ટમાં ઉદ્યમ સર્ટિફિકેટથી લઈને GSTના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેઓએ કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સ બોગસ ડોક્યુમેન્ટ પર બનાવી દીધા અને બેંકના કર્મચારીઓને કાનોકાન ખબર પણ પડી નહીં. હાલમાં બેંક કર્મચારીઓની આ નેટવર્કમાં ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 719 કરોડનું સાયબર ફ્રોડ, ગેંગની ભાવનગરથી ધરપકડગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી હતા. આ ગેંગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી છેતરપિંડીનાં નાણાંની હેરાફેરી કરતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ 1,544 સાયબર ગુનામાં સક્રિય હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ પૂરાં પાડવામાં આવતાં હતાં. ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારનાં ઑનલાઇન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. નાણાંની લેવડદેવડને 3થી 4 સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં હતાં, જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે. વાંચો સંપૂર્ણ સમાચાર ડીસા-મહેસાણાના ગ્રેજ્યુએટો 800 કરોડના સાયબર ફ્રોડના માસ્ટરમાઈન્ડગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાન, BE મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને BCOM દીપ ઠક્કર, જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો. તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં બે વર્ષ પૂર્વે બનેલી પત્નીની હત્યાની ચકચારી ઘટનામાં આજે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દારૂ પીવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી મથુરાપ્રસાદ ઉર્ફે સોનુ પ્રજાપતિને ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સખત સજા ફટકારી છે. મહત્વનું છે કે, આ કેસમાં પિતાને જ માતાની હત્યા કરતા જોનાર સગીર પુત્રીની જુબાની આરોપીને સજા અપાવવામાં મહત્વની કડી સાબિત થઈ હતી. આરોપીએ પત્ની સાથે દારૂ પીવા બાબતે ઝઘડો કર્યો હતોઅડાલજ વિસ્તારમાં દારૂ પીવા જેવી નજીવી બાબતે પત્નીની કરપીણ હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટનાની વિગત મુજબ તા. 10 જાન્યુઆરી, 2024ના રોજ અદાણી શાંતિગ્રામની PSP કોલોની સામે દંતાલી રેલ્વે પાટા નજીક બાવળની ઝાડીઓમાં આ હત્યા કરાઈ હતી. આરોપી પતિ મથુરાપ્રસાદ ઉર્ફે સોનુ પ્રજાપતિએ તેની પત્ની દિપીકા સાથે દારૂ પીવા બાબતે ઝઘડો કર્યો હતો. પત્નીને મારી નાખી લાશને દંતાલી રેલ્વે પાટા પાછળ ઝાડીઓમાં છોડી દીધી જેથી, ઉશ્કેરાયેલા મથુરાપ્રસાદે પત્નીને ગડદાપાટુંનો મારામારી કાળા પથ્થરથી માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતકના ભાઈ ભરતકુમાર પ્રજાપતિ બહેનના ઘરે પહોંચ્યા હતા પરંતુ, દીપિકા જોવા નહીં મળતા બનેવીને પૂછતા તેણે પહેલા ગલ્લાતલ્લા કર્યા હતા. આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકના તત્કાલીન પીઆઇ એસ.આર. મૂછાળ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે જઈને મથુરાપ્રસાદે કબૂલાત કરી હતી કે, દારૂ પીવા બાબતે ઝઘડો થતા પત્નીને મારી નાખી લાશને દંતાલી રેલ્વે પાટા પાછળ ઝાડીઓમાં છોડી દીધી છે. જે અંગે પોલીસે ઘટનાસ્થળ પર જઈને તપાસ કરતા બાવળની ઝાડીઓમાંથી દીપિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારીઆ કેસની ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે મૃતકની સગીર પુત્રીની જુબાની લીધી હતી. જેમાં સગીરાએ કોર્ટ સમક્ષ પોતાના પિતાને માતા પર હુમલો કરતા જોયા હોવાની હકીકત જણાવી હતી, જે આ કેસમાં એકમાત્ર અને મજબૂત પ્રત્યક્ષ પુરાવો સાબિત થયો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ ચાર બાળકો હોવા છતાં ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરી છે અને સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખી ગાંધીનગર કોર્ટના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એમ. ઉનડકટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના તમામ મંડળ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી. ઉલ્લેખનીય છે કે, હિતેન્દ્રસિંહ ચૌહાણની તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મધ્ય ઝોનના પ્રભારી તરીકે પણ નિયુક્ત કરાયા હતા. હિતેન્દ્રસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લાના વિવિધ મંડળોની મુલાકાત લીધી હતી. તેમણે ભાજપના શક્તિ કેન્દ્રના પ્રમુખ-ઉપપ્રમુખથી લઈને તાલુકા અને શહેરના ભાજપ હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે ચર્ચા કરી પરિચય કેળવ્યો હતો. આ પ્રસંગે ગોધરા શહેરના ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર અને તાલુકા સંગઠનના તમામ કાર્યકર્તાઓની બેઠક લેવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ આગામી ચૂંટણીઓ માટે તમામ કાર્યકર્તાઓને તૈયાર રહેવા અને પોતાની જવાબદારી પ્રમાણે સક્રિય થવા આહ્વાન કર્યું હતું. વધુમાં, પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ ડાંગરે હાજર કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના કાર્યકર્તા તરીકે નવા અધ્યક્ષ નીતિન નવીનને 'બોસ' તરીકે સંબોધ્યા તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ સંગઠનની તાકાતથી જ બહુમતી મેળવી શકાય છે અને સંગઠનની મજબૂતી એ જ જીતની ગેરંટી છે. તેમણે તમામ સંગઠનને અને મંડળના યુવા પ્રમુખોને સાથે મળીને આગામી ચૂંટણીઓ માટે પ્રોત્સાહિત થઈને કામે લાગવા આહ્વાન કર્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થઈ હતી. WPLના મેંચ હાલ વડોદરામાં રમાઈ રહ્યા છે. ત્યારે આજે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગર આવી છે. તેઓ રિલાયન્સ ગ્રીન્સ અને વનતારામાં રાત્રિ રોકાણ કરશે.
તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્રાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલી ચોરી કરી હતી. વડોદરા ડિવિઝનના રેલ્વે સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, 14 જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્રાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી, જેની સ્ટેશન પોઇન્ટમેન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ઘટનાસ્થળથી લગભગ 20 ફૂટ દૂર ઝાડીઓમાં આશરે 625 કિલો વજનની 13 બોરી ચોખા પડેલી મળી આવી હતી. આ રીતે, ચોરાયેલો સમગ્ર માલ મળી આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસમાં, રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજનો આધાર લીધો. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને, ગુનેગારોની ઓળખ થઈ. અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું. 18 જાન્યુઆરી, 2026 ના રોજ આરોપીની ધરપકડ બાદ, સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ 23 વર્ષીય મહેશ તરીકે થઈ, જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે અને તેના બે સાથીઓએ 14 જાન્યુઆરી, 2026 ના રોજ અનલોડિંગના દિવસે રેલ્વે માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી. અન્ય એક આરોપી, આકાશ, 22 વર્ષીય, સુરતનો રહેવાસી, ને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ, તેણે ગુનો કબૂલ્યો. વધુ તપાસ ચાલુ છે.
પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SSR) પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગોધરા મુસ્લિમ ગાંચી સમાજ શૂરા કમિટીએ આ અંગે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કમિટી દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, જિલ્લામાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 16000થી વધુ લોકો સામે વાંધા અરજીઓ (ફોર્મ નં. ૭) દાખલ કરવામાં આવી છે. આ અરજીઓનો મુખ્ય હેતુ આ મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવાનો છે. કમિટીએ જણાવ્યું છે કે વાંધો ઉઠાવવામાં આવેલા મોટાભાગના મતદારો હયાત છે અને સ્થળાંતરિત થયા નથી. તેમણે ખોટા ફોર્મ ભરીને ગેરમાર્ગે દોરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કમિટીએ આ પ્રક્રિયામાં ન્યાયી તપાસ થાય અને BLO (બૂથ લેવલ ઓફિસર) તેમજ જે-તે વિસ્તારના આગેવાનોની હાજરીમાં પંચનામું કરીને યોગ્ય નિર્ણય લેવાય તેવી અપીલ કરી છે. સામાજિક કાર્યકર અનસભાઈ અંધી અને વકીલ ઇમરાનભાઈના જણાવ્યા અનુસાર, જિલ્લા કલેક્ટરે આ બાબતે ખાતરી આપી છે કે ન્યાયના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને કોઈપણ સાચા મતદારનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.
વેરાવળ ST ડેપોમાં ફ્રી નેત્ર-આરોગ્ય તપાસ કેમ્પ:નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત કર્મચારીઓ માટે આયોજન
વેરાવળ એસ.ટી. ડેપો ખાતે 21 જાન્યુઆરીના રોજ 'નેશનલ રોડ સેફ્ટી મંથ–2026'ની ઉજવણીના ભાગરૂપે એક મફત નેત્ર નિદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એસ.ટી. કર્મચારીઓના આરોગ્ય અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને યોજાયો હતો. એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, આ કેમ્પ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (યુનિટ – ઇન્ડિયન રેયોન) અને જન સેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. તેમાં ડેપોના ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિક, વહીવટી, ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને અપ્રેન્ટિસ સ્ટાફ સહિતના લોકો માટે આંખોની તપાસ, બ્લડ પ્રેશર અને સુગરની ચકાસણી કરવામાં આવી હતી. આદિત્ય બિરલા હોસ્પિટલ, વેરાવળના નિષ્ણાત તબીબો ડૉ. અસ્કા પટેલ (MD Optho.), ડૉ. તન્વી (મેડિકલ ઓફિસર) અને તેમની ટીમે કર્મચારીઓની આંખોની વિગતવાર તપાસ કરી હતી. આ ઉપરાંત, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની ચકાસણી કરીને જરૂરી તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પારેખના માર્ગદર્શન હેઠળ અને વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર તથા સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક આયોજિત થયો હતો. આ કેમ્પમાં કુલ 77 એસ.ટી. કર્મચારીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. માર્ગ સલામતી માટે વાહનચાલકોની આંખોની દૃષ્ટિ, બ્લડ પ્રેશર અને સુગરનું નિયંત્રણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દૃષ્ટિએ, આવા આરોગ્યલક્ષી કેમ્પો એસ.ટી. કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ કેમ્પથી કર્મચારીઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી હોવાનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આયોજનકર્તાઓએ ભવિષ્યમાં પણ આવા સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં અમલી બનેલી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 ના વિરોધમાં 'પીડિત પરિવાર સમિતિ' દ્વારા મોહનદિપ સોસાયટીની વાડીમાં એક વિશાળ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 80 થી વધુ સોસાયટીના પ્રમુખો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં અસરગ્રસ્ત રહીશો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી રહેતા લોકોના મકાનો અને જમીનો પર લાદવામાં આવેલા અન્યાયી રિઝર્વેશનને હટાવવા માટે આ મિટીંગમાં ફરીથી આંદોલનને સક્રિય કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ઇરાદાપૂર્વક રિઝર્વેશન લાદવાનો આક્ષેપસ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સ્થળ તપાસ કર્યા વગર મનફાવે તે રીતે રહેણાંક મકાનો, વાડીઓ અને ખુલ્લા પ્લોટો પર રિઝર્વેશન દાખલ કરી દેવામાં આવ્યા છે. આ સમસ્યાને કારણે કતારગામના આશરે 1 લાખથી વધુ લોકોની મિલકતો અને નાગરિક હકો જોખમમાં મુકાયા છે. લોકોનું કહેવું છે કે વિકાસના નામે વર્ષો જૂની વસાહતોને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચવામાં આવ્યું છે, જેનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે. નેતાઓની ઉદાસીનતા અને 'ખો-ખો'ની રમતસમિતિના સભ્યોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા, મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, નેતાઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે અને જવાબદારી એકબીજા પર ઢોળીને 'ખો-ખો'ની રમત રમી રહ્યા છે. 3 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર અમલીકરણ ન થતા લોકોમાં ભારે અસંતોષ છે. કાયદેસરની મિલકતો પર રાતોરાત તરાપપીડિત પરિવાર સમિતિના ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે, જે મિલકતો પર રિઝર્વેશન નાખવામાં આવ્યા છે તે 10 થી 75 વર્ષ જૂની છે. રહીશોએ સરકારી રેકોર્ડ તપાસીને અને કાયદેસર રીતે આ મિલકતો ખરીદી હતી, ત્યારે કોઈ રિઝર્વેશન નહોતા. પરંતુ તંત્ર દ્વારા રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરીને લોકોની જીવનભરની મૂડી સમાન મકાનો પર તરાપ મારવામાં આવી છે. આ અન્યાય સામે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી પણ રજૂઆતો કરવામાં આવી છે. જાન્યુઆરીના અંતમાં મ્યુનિસિપલ કચેરીએ જંગી મોરચોમિટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે જો આગામી દિવસોમાં ટીપી 49, 50 અને 51 માંથી ઇરાદાપૂર્વક દાખલ કરેલા રિઝર્વેશનો હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. આ રણનીતિના ભાગરૂપે જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં કતારગામના હજારો નાગરિકો સાથે મળીને મનપા કચેરી પર વિશાળ મોરચો લઈ જશે અને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ બુલંદ કરશે.
સુરતના ખ્યાતનામ કે.પી. ગ્રુપ અને પી.પી. સવાણી ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. 'કોયલડી' સમૂહ લગ્ન બાદ, પિતાની છત્રછાયા ગુમાવનારી 133 દીકરીઓને મનાલીના પ્રવાસે મોકલ્યા બાદ, આજે તા. 21/1/2026ના રોજ 18 મુસ્લિમ દીકરીઓ અને જમાઈઓને તેમના સ્વપ્ન સમાન 'મક્કા-મદીના' (ઉમરાહ) યાત્રા માટે રવાના કરવામાં આવ્યા છે. સુરતના 'મોહિત ફાર્મ' ખાતેથી સવારે 9:00 કલાકે આ નવદંપતીઓને વિદાય આપવામાં આવી હતી. આ 15 દિવસની પવિત્ર યાત્રામાં દીકરીઓનો ઉત્સાહ વધારવા કે.પી. ગ્રુપના ચેરમેન ડો. ફારુક પટેલ પોતે મુંબઈ એરપોર્ટથી પરિવાર સાથે જોડાશે. સંબંધોની મજબૂતી માટે 'ચારધામ જાત્રા'નું આયોજન માત્ર મુસાફરી જ નહીં, પણ પારિવારિક સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે તેવો ઉમદા હેતુ આ આયોજન પાછળ રહેલો છે. જૂન 2026માં આ તમામ દીકરીઓની માતાઓ અને સાસુઓ માટે 'ચારધામ જાત્રા'નું આયોજન કરવામાં આવશે. મહેશભાઈ સવાણી અને ડો. ફારુક પટેલના મતે, ગંગાસ્વરૂપ માતા અને સાસુ વચ્ચેના સંબંધો ગાઢ બનશે તો દીકરીઓના લગ્નજીવનમાં ક્યારેય છૂટાછેડા જેવી ગંભીર સ્થિતિ ઊભી નહીં થાય. હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ ધર્મના ભેદભાવ વગર સમાજમાં ભાઈચારાની લાગણી મજબૂત કરવા માટે આ બંને ગ્રુપ સતત કાર્યરત છે. હિન્દુ દીકરીઓને મનાલી અને મુસ્લિમ દીકરીઓને મક્કા-મદીના મોકલીને ડો. ફારુક પટેલ અને મહેશભાઈ સવાણીએ દેશભરમાં કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પહેલથી સમાજમાં નવો રાહ ચીંધાયો છે.
ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સ્ત્રી પર જાતીય હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ચાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પકડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચના બાદ, ડાંગ-આહવા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCB ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા સઘન તપાસ શરૂ કરી હતી. માનવીય અને ટેકનિકલ સ્રોતોના આધારે મળેલી ચોક્કસ બાતમી મુજબ, આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીઓ રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા વિસ્તારમાં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું. LCB ટીમ તાત્કાલિક રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા પહોંચી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ વાહન વ્યવહાર વિનાના સીમ વિસ્તારમાં વાડી પાસે કામચલાઉ પડાવ બનાવીને રહેતા હતા. રસ્તો ન હોવાથી, ટીમે વેશપલટો કરી કાચા રસ્તે પગપાળા કાંટા-બાવળ અને પાણીમાંથી પસાર થઈ નદી-નાળા ઓળંગી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. આખરે, વોરંટના આધારે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન, અન્ય બે આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મેળા સંબંધિત વ્યવસાય માટે ગયા હોવાનું બહાર આવ્યું. આ માહિતીના આધારે, LCB ની એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી અને નાસિક ખાતેથી બાકીના બે આરોપીઓને પણ વોરંટના આધારે પકડી પાડવામાં આવ્યા. તમામ ચાર આરોપીઓને આહવા લાવવામાં આવ્યા, જ્યાં પૂછપરછ બાદ તેમને આગળની કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં માનસિંહ રામગોપાલ બાગરીયા, મુકેશ સોરજભાઇ બાગરીયા, રણબીર હરીલાલ બાગરીયા અને ધનપાલ સોરજભાઇ બાગરીયાનો સમાવેશ થાય છે.
સુત્રાપાડા તાલુકાના લોઢાવા ગામે પીવાના પાણીની પાઇપલાઇન માટે ખેતીની જમીન સંપાદિત કરવાની નોટિસ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર દ્વારા વડોદરા ઝાલાથી વિરોદર સુધીની બલ્ક ક્લિયર વોટર ટ્રાન્સમિશન પાઇપલાઇન માટે આ નોટિસ આપવામાં આવી છે. જમીન માલિકોએ સત્તાવાર રીતે વાંધા અરજીઓ રજૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આપવામાં આવેલી નોટિસમાં માત્ર જમીન સંપાદનની જાણ કરવામાં આવી છે, પરંતુ સંપાદિત થતી જમીનનું વળતર, પાઇપલાઇન કયા એલાઇમેન્ટથી પસાર થશે અને જમીનમાં થયેલા નુકસાનની ભરપાઈ કેવી રીતે કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ખેડૂતોએ સ્પષ્ટપણે રજૂઆત કરી છે કે આ પ્રોજેક્ટ માટે ફળદ્રુપ ખેતીની જમીન લેવી અનિવાર્ય નથી. પાઇપલાઇન માટે સરકારી પડતર જમીન અથવા રોડ-કેનાલની હદ (ROW) નો ઉપયોગ શક્ય હોવા છતાં સીધી ખેતીની જમીન પસંદ કરવામાં આવી રહી છે, જે ખેડૂતોના હિતો વિરુદ્ધ છે. લોઢાવા ગામના ખેડૂતો કહે છે કે તેમની જમીન અત્યંત ઉપજાવ અને ફળદ્રુપ છે, જેની બજાર કિંમત પ્રતિ એકર આશરે રૂ. ૪૦ લાખ છે. તેમ છતાં, બજાર કિંમત મુજબ વળતર ચૂકવાશે કે નહીં તેની કોઈ ખાતરી નોટિસમાં આપવામાં આવી નથી. આ ઉપરાંત, જમીનમાં આવેલા ફળઝાડ, પાક, બાંધકામ અને અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનો સહિતના નુકસાન અંગે પણ કોઈ સર્વે કે વળતરની વિગતો અપાઈ નથી. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે પાઇપલાઇન માટે ખોદકામ કર્યા બાદ જમીન ફરીથી વાવેતરલાયક બનાવી આપવામાં આવશે કે કેમ, અથવા લેવલિંગ માટે અલગથી વળતર ચૂકવાશે તે બાબત પણ સ્પષ્ટ નથી. ખેડૂતોના મતે, આ સમગ્ર પ્રક્રિયા જમીન સંપાદન અધિનિયમ–૨૦૧૩ ની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ જમીન તેમના પરિવારના જીવનનિર્વાહનો એકમાત્ર આધાર છે. જમીન સંપાદન થવાથી માત્ર જમીન માલિકો જ નહીં, પરંતુ ખેતમજૂરો અને ખેતી પર આધારિત અનેક પરિવારોની આજીવિકા જોખમમાં મુકાશે. ખેડૂતોની માંગ છે કે માત્ર નાણાંકીય વળતરથી આજીવિકાનું કાયમી નુકસાન પૂરું થતું નથી, તેથી જમીન સંપાદન ન થાય. ખેડૂતોએ સત્તાધિકારીઓને માંગ કરી છે કે તેમની વાંધા અરજીમાં રજૂ કરાયેલા તમામ મુદ્દાઓ પર સંપૂર્ણ સ્પષ્ટીકરણ સાથે લેખિત જવાબ આપવામાં આવે અને ત્યારબાદ જ કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવે.
અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા ન્યાયલયના વર્ગ-3 કર્મચારી મંડળની નવી કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં તમામ હોદ્દેદારોની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં મંડળના માળખાને મજબૂત કરવા અને કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા હોદ્દેદારોની વરણી સભામાં લેવાયેલા સર્વાનુમતે નિર્ણય મુજબ, શ્રી ભરતકુમાર સી. મકવાણાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. તેમની સાથે શ્રી હિતેશ એચ. ભરવાડ સહ-પ્રમુખ, શ્રી મહંમદહઈલિયાસ એમ. પટેલ ઉપ-પ્રમુખ અને શ્રી મહેન્દ્રકુમાર કે. ચૌધરી મહામંત્રી તરીકે ચૂંટાયા છે. આ ઉપરાંત, વહીવટી પારદર્શિતા માટે ખજાનચી, ઓડિટર, કાનૂની સલાહકાર અને સોશિયલ મીડિયા કન્વીનર સહિતના પદો પર પણ નિમણૂકો કરવામાં આવી છે. ભવિષ્યનું આયોજન નવી સમિતિએ કર્મચારીઓના હિત અને કલ્યાણ માટે સક્રિયપણે કાર્ય કરવાની ખાતરી આપી છે. સભામાં ઉપસ્થિત સભ્યોએ આ નવી ટીમને આવકારી હતી અને ભવિષ્યની પ્રવૃત્તિઓમાં પૂર્ણ સહકાર આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને મિલકતોના નિકાલની પ્રક્રિયાના ભાગરૂપે આજે એક મહત્વપૂર્ણ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મવડી વિસ્તારનાં નવનિર્મિત લાલુભાઈ પારેખ ટાઉનશીપ શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. 10 દુકાનોની રૂ. 1.85 કરોડ અપસેટ પ્રાઇઝ સામે રૂ. 2.96 કરોડની બોલી લાગી હતી જેમાં મનપાને બેઝ પ્રાઈઝ કરતા રૂ. 1.11 કરોડની વધુ આવક થઈ હતી. મનપા દ્વારા નક્કી કરાયેલી અપસેટ પ્રાઈઝ કરતા રૂ. 1.11 કરોડની વધુ આવકમનપાનાં એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરની તમામ 10 દુકાનો માટે કુલ અપસેટ પ્રાઇઝ રૂ. 1,85,30,000 નક્કી કરવામાં આવી હતી. જોકે વિકાસશીલ મવડી વિસ્તારમાં વ્યાપારી હેતુ માટેની આ મિલકતો મેળવવા માટે હરાજીમાં ભારે રસાકસી જોવા મળી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો અને સંભવિત ખરીદદારો હરાજીના સ્થળે ઉમટી પડ્યા હતા. પારદર્શક રીતે હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં એક પછી એક દુકાનો માટે ઊંચી બોલીઓ બોલાવવાની શરૂઆત થઈ હતી. તમામ દુકાનો વેચાતા મનપાને કુલ રૂ. 2,96,30,000ની આવક થઈ હતી, જે દુકાનોની અપસેટ પ્રાઇઝ કરતા રૂ. 1,11,00,000 જેટલી વધારે છે. એક દુકાનના સૌથી ઊંચા રૂ. 40.60 લાખની બોલી લાગીમનપા દ્વારા લોકેશન અને વિસ્તાર મુજબ અલગ-અલગ અપસેટ પ્રાઇઝ નિર્ધારિત કરાઈ હતી. જેમાં દુકાન નંબર 1 ની અપસેટ પ્રાઇઝ રૂ. 19,60,000, દુકાન નંબર 2 ની રૂ. 15,80,000, દુકાન નંબર 3 ની રૂ. 17,50,000 અને દુકાન નંબર 4 ની રૂ. 15,80,000 રાખવામાં આવી હતી. તેવી જ રીતે દુકાન નંબર 5 અને 6 માટે રૂ. 25,70,000 જેટલી ઊંચી અપસેટ પ્રાઇઝ નક્કી કરાઈ હતી. બાકીની દુકાનોમાં નંબર 7 માટે રૂ. 15,80,000, નંબર 8 માટે રૂ. 17,50,000, નંબર 9 માટે રૂ. 15,80,000 અને દુકાન નંબર 10 માટે રૂ. 16,10,000 ની કિંમત નક્કી કરવામાં આવી હતી. આ હરાજીમાં સૌથી વધુ આકર્ષણ દુકાન નં 5 અને 6એ જમાવ્યું હતું. તેમજ બંને દુકાનો માટે રોકાણકારો વચ્ચે ભારે હરીફાઈ જોવા મળી હતી. દુકાન નંબર 5 ની રૂ. 25,70,000 ની અપસેટ પ્રાઇઝ સામે રૂ. 40,20,000 ની બોલી બોલાઈ હતી. જ્યારે દુકાન નંબર 6 માં તેનાથી પણ વધુ પ્રતિસાદ મળ્યો હતો, જ્યાં રૂ. 25,70,000 સામે રૂ. 40,60,000 ની આવક થઈ હતી. અને આ બંને દુકાનો આજના દિવસની સૌથી મોંઘી વેચાયેલી મિલકતો સાબિત થઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન મનપાના ઉચ્ચ અધિકારીઓ અને એસ્ટેટ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો અને સમગ્ર કાર્યવાહીની દેખરેખ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં થઈ રહેલા ઝડપી વિકાસને કારણે મવડી વિસ્તાર વ્યાપારી પ્રવૃત્તિઓ માટે હોટ ફેવરિટ બન્યો છે. લાલુભાઈ પારેખ ટાઉનશીપમાં દુકાનોની સુવિધા ઊભી થવાથી સ્થાનિક રહીશોને નજીકમાં જ વ્યાપારી સેવાઓ મળી રહેશે. મનપાના જણાવ્યા અનુસાર, હરાજીમાંથી થયેલી આ વધારાની આવકનો ઉપયોગ શહેરના અન્ય વિકાસલક્ષી કાર્યોમાં કરવામાં આવશે. આ સફળ હરાજી બાદ હવે આગામી દિવસોમાં બાકી મિલકતોના નિકાલ માટે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવશે તેવી શક્યતા છે.
રાજકોટ સ્થિત સરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, અહીં PHDની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહીં PHD કરવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પડશે. જેને લઈને આજે ABVPના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફી વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલપતિની ચેમ્બરમાં રહેલા સ્ટાફને બહાર કાઢી લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા હવે PHDમાં ટર્મ ફી પણ ઉમેરાઈયુનિવર્સિટી દ્વારા અગાઉ ટર્મ ફી લેવામાં આવતી ન હતી પરંતુ, હવે તે દાખલ કરવામાં આવી છે. જેમાં સાયન્સ, ફાર્મસી, હોમ સાયન્સ અને મેડિકલ ફેકલ્ટીમાં રૂ.4600 ટર્મ ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય ફેકલ્ટીમાં ફી રૂ.3600 રાખવામાં આવી છે. આ સિવાય લાઇબ્રેરી ફી રૂ.350 હતી. તે રૂ.500 કરી દેવામાં આવી છે. જ્યારે UGCના રેગ્યુલેશન મુજબ 2 વર્ષમાં PHD પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીએ વધારાની રૂ.3000 ફી ભરવાની રહેશે. એમ. કોમ. સેમેસ્ટર-4ના પરિણામમાં સુધારાની માગઆ મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. જેમાં તાનાશાહી નહીં ચલેગી, VC તેરા ક્યા ભરોસા -એક કચોરી દો સમોસા જેવા નારા લગાવ્યા હતા અને ફી વધારો પરત ખેંચવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એમ. કોમ. સેમેસ્ટર-4ના પરિણામમાં સ્પેશિયલાઈઝેશન લખવામાં આવ્યુ છે. જેનાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અન્ય જગ્યાએ પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે. જેથી, આ વિદ્યાર્થીઓની માર્કશીટમાં સુધારો કરવામાં આવે. PHDનો આ ફી વધારો 26 વર્ષ બાદ થયો છે આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રચાયેલી ફી નિયમન સમિતિ દ્વારા ફી વધારો કરવામાં આવ્યા બાદ સર્વોચ્ચ સતામંડળ એવા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી. PHDનો આ ફી વધારો 26 વર્ષ બાદ થયો છે કારણ કે, વર્ષ 2000માં ફી વધારો કરવામાં આવ્યો હતો. જેથી, આ ફી વધારો કરવામાં આવ્યો છે.
આજથી PSI અને LRD માટે ફિઝિકલ ટેસ્ટનો પ્રારંભ PSI અને LRDની 13,591 જગ્યાઓ માટેની આજથી ફિઝિકલ ટેસ્ટનો પ્રારંભ થયો છે. 15 ગ્રાઉન્ડ પર આ ટેસ્ટ શરુ થઈ. ક્યાંક કોઈ માઈક્રો સેકન્ડથી રહી ગયું તો ક્યાંક કોઈ થોડી મહેનતમાં જ પાસ થઈ જતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આનંદીબેનના દીકરી હવે ખોડલધામના સર્વેસર્વા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ બન્યા ખોડલ ધામ સંગઠનના અધ્યક્ષ..2027ની વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામનો હાથ ઉપર રહે અને CMની ગાદી સુધી અનાર પટેલને પહોંચાડી શકાય તે માટે નરેશ પટેલે નવી પોસ્ટ ઉભી કરી અનાર પટેલને તમામ જવાબદારીઓ સોંપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો SIR મુદ્દે અમિત ચાવડાએ ભાજપ પર કર્યા આક્ષેપ એસઆઈઆર મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરી..કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ 10 લાખ મતદારોના નામ રદ કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપંચ પાસે વિગતો જાહેર કરવાની માગ કરી તમામ કલેક્ટર કચેરી ઘેરવાની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બગદાણાના હુમલા કેસમાં નવાજૂનીનાં એંધાણ બગદાણામાં 29 ડિસેમ્બરે કોળી યુવક પર થયેલા હુમલામાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને SITએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું ....બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામ બાબતે માયાભાઈ આહીરે માફી માંગતા તેમના દીકરાએ હુમલો કરાવ્યાનો આક્ષેપ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેબિનેટની બેઠકમાં ઉછળ્યો ટાંકીનો મુદ્દો સુરતના તડકેશ્વરમાં ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થઈ ગયેલી ટાંકી મુદ્દે સીએમની કડક ચેતવણી.. જવાબદાર અધિકારીઓ સામે પોલીસ કેસ કરાશે. તો કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દરિયાનું પાણી રહસ્યમય રીતે ઉકળતું દેખાયું ગુજરાત નજીક અરબી સમુદ્રમાં રહસ્યમય રીતે ઉકળતું પાણી દેખાયું...વીડિયો વાઈરલ થતાં તંત્ર દોડતું થયું છે.. દરિયાના તળિયે ગેસલાઈનમાં ભંગાણને કારણે આ સ્થિતિ સર્જાવાની શક્યતાને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 18 મીટરનો રોડ 9 મીટરનો કરી નાખ્યો અમદાવાદના નવરંગપુરામાં માં સરદાર પટેલ સેવા સમાજ પાસે નવો રોડ બનાવાની કામગીરી વિવાદમાં.. ફૂટપાથ, યુટિલિટી ને પાર્કિંગ બનાવી 18 મીટરના રોડને 9 મીટરનો કરી નાખ્યો. સ્ટેન્ડિંગ ચેરમેને કામગીરી બંધ કરાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આસારામ આશ્રમના ગેરકાયદે દબાણો દૂર કરાશે અમદાવાદના સાબરમતિમાં આવેલા આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસમાં 57ને કરડ્યો, આખરે શ્વાનનું મોત અમરેલીમાં એક કૂતરાએ બે દિવસમાં 57 લોકોને બચકા ભર્યા.. હોસ્પિટલમાં વેક્સિન પણ ખૂટી પડી. આ દરમિયાન આજે એક ખેડૂતને કરડતા સ્વ બચાવમાં ખેડૂતે લાકડી મારતા શ્વાનનું મોત નીપજ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોકઅપમાં ફાંસો ખાઈ આરોપીનો આપઘાત વડોદરાના પાણીગેટ પોલીસસ્ટેશના લોકઅપમાં ટોઇલેટની બારી સાથે હુડીની દોરી બાંધીને આરોપીએ આપઘાત કરી લીધો.. બહેને પોલીસ પર ભાઈને મારી નાખ્યાનો આક્ષેપ કર્યો. પતિ-પત્નીના ઝઘડા મુદ્દે વડોદરા પોલીસે અટકાયત કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ઉત્તર ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષી પ્રેમીઓના માનીતા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ બે દિવસ દરમિયાન અભયારણ્યમાં દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે જાહેરનામુ જાહેરગાંધીનગર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર પક્ષી ગણતરીની પ્રક્રિયા દરમિયાન પક્ષીઓને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુથી સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર એમ સતત બે દિવસ સુધી સહેલાણીઓ અભયારણ્યની મુલાકાત લઈ શકશે નહીં. વન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે ગણતરી કરવામાં આવે છેઉલ્લેખનીય છે કે, થોળમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં હજારોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ મહેમાન બને છે. આ પક્ષીઓની ચોક્કસ સંખ્યા અને તેમની પ્રજાતિઓની વિગતો મેળવવા માટે વન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે ગણતરી કરવામાં આવે છે. આ વૈજ્ઞાનિક કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે જાહેર જનતાને વન વિભાગ સાથે સહયોગ કરવા અને નિર્ધારિત દિવસોએ મુલાકાત ન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં હાલ વુમન્સ પ્રીમિયર લીગ ચાલી રહી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ અકોટા વિસ્તારમાં આવેલી હોટેલ તાજ વિવાન્તામાં રોકાઈ છે, ત્યારે RCB ટીમના પ્લેયર અકોટા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને પગલે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં લોકો ભારતમાં વિદેશી ક્રિકેટરની સુરક્ષા બાબતે વખાણ પણ કરી રહ્યા છે. શહેરમાં બિન્દાસ ફરતી જોવા મળી વિદેશી મહિલા ક્રિકેટર્સવુમન્સ પ્રીમિયર લીગની મેચો રમવા માટે હાલ દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સની ટીમો વડોદરાની મહેમાન બની છે. ત્યારે આ ટીમોની કેટલીક વિદેશી ખેલાડીઓ શહેરમાં મોલ અને કેફેમાં જોવા મળી રહી છે. તો કેટલીક વિદેશી ક્રિકેટર રોડ પર મોર્નિંગ વોક કરતી પણ જોવા મળે છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમની પ્લેયર લોરેન બેલ અને નાદીને ડી કલાર્ક સહિતના પ્લેયર મોર્નિંગ વોકમાં જતા દેખાય છે. વિદેશી ક્રિકેટરો વડોદરા શહેરમાં બિન્દાસ રીતે ફરી રહ્યા છે. ભારતીય મહિલા ખેલાડીઓ હોટલમાંથી ઓછી બહાર નીકળે છેરોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ 19 જાન્યુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ સામે મેચ રમી હતી અને તે મેચ RCB જીતી હતી. હવે RCBની મેચ 24 જાન્યુઆરીના રોજ દિલ્હી કેપિટલ્સ સામે યોજાવાની છે. આમ બે મેચ વચ્ચે ચાર દિવસનું અંતર હોવાથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમના વિદેશી ખેલાડીઓ વડોદરામાં એક્સપ્લોર કરી રહ્યા છે. જોકે ભારતીય ખેલાડીઓને ક્રિકેટ રસિકો વધારે ઓળખતા હોવાથી ભારતીય ખેલાડીઓ હોટલમાંથી ઓછા બહાર નીકળે છે અને મોટાભાગે રૂમમાં જ રહે છે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર કાફેમાં નાસ્તો કરતા જોવા મળ્યા હતાઆ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ સિઝનમાં અત્યાર સુધી પોતાની બધી મેચ જીત્યું છે. જેથી પણ ટીમના ખેલાડીઓ ઉત્સાહિત છે અને બિન્દાસ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ક્રિકેટર પણ વડોદરાના રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા અને કાફેમાં નાસ્તો કરવા પણ ગયા હતા.
મહિસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂપિયાના 'નલ સે જલ' યોજનાના કૌભાંડમાં CID ક્રાઈમે સપાટો બોલાવતા વધુ એક રાજકીય માથું ઝડપાયું છે. વડોદરા શહેર અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રભારી અને મહિસાગર ભાજપના પાયાના કાર્યકર મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ભાજપ સાથે જોડાયેલા કુલ ત્રણ નેતાઓ પોલીસ સકંજામાં આવ્યા છે. ₹1.76 કરોડની રિકવરી બાકીતપાસનીશ એજન્સીના જણાવ્યા અનુસાર, મુકેશ શ્રીમાળી પાસેથી સરકારને કુલ ₹1,76,97,169.25ની રકમ રિકવર કરવાની બાકી નીકળે છે. અગાઉ આ જ કેસમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ અને ખાનપુર તાલુકાના પૂર્વ મહામંત્રી ડી.પી. માલીવાડની પણ ધરપકડ કરવામાં આવી હતી. રાજકીય ઓથ હેઠળ આચરવામાં આવેલા આ કૌભાંડમાં એક પછી એક નેતાઓના નામ ખૂલતા ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં 23 ધરપકડવાસ્મો (WASMO) યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ 22 જૂને વડોદરા CID ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. તત્કાલીન 12 કર્મચારીઓ પૈકી 4 અને ફરિયાદમાં નામ ન હોય તેવા અન્ય 4 મળી કુલ 8 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે કુલ 111 ઇજારદારોમાંથી અત્યાર સુધીમાં 15 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. 20 આરોપીઓએ આગોતરા જામીન માંગ્યા હતા, જેમાંથી કોર્ટે 18ની અરજી ફગાવી દીધી છે, જ્યારે 2ને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. 'મોટા માથાઓ' હજુ કેમ બહાર?આ સમગ્ર કેસમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે તંત્ર દ્વારા નાની રકમની ગેરરીતિ કરનારા કોન્ટ્રાક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ કરોડો રૂપિયાની રિકવરી જેમની પાસે બાકી છે તેવા 'મોટા' કોન્ટ્રાક્ટરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 620 ગામો તરસ્યા: જનતામાં રોષમહિસાગર જિલ્લાના કુલ 714 ગામોમાંથી 620 ગામોમાં આ યોજના હેઠળ ગેરરીતિ થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. કૌભાંડીઓએ સરકારી નાણાંનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરી લીધો, પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે ગ્રામીણ જનતાને ઘરે-ઘરે પીવાનું પાણી ક્યારે મળશે? સરકાર આ કૌભાંડીઓ પાસેથી નાણાં વસૂલ કરી નવી કામગીરી ક્યારે શરૂ કરશે તે જોવાનું રહેશે.
રાજકોટના વતની અને પ્રબળ ઈચ્છાશક્તિના માલિક એવા દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ ઉત્તરાખંડના રૂરકી ખાતે આયોજિત નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 16 થી 18 January, 2026 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં રામ બાંભવાએ 80 kg કેટેગરીમાં ભાગ લીધો હતો. તેમણે પોતાની તાકાત અને ટેકનિકનો પરિચય આપતા કુલ 168 kg વજન ઉપાડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રહ્યો છે દબદબો મૂળ ફલ્લા ગામના અને હાલ રાજકોટ સ્થિત 29 વર્ષીય રામ બાંભવા રમતગમત ક્ષેત્રે જૂનું અને જાણીતું નામ છે. તેઓ અત્યાર સુધીમાં 8 વખત રાષ્ટ્રીય અને 7 વખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, ગત વર્ષે ચીનમાં યોજાયેલ વર્લ્ડ કપમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમની સફળતાની સફરમાં અત્યાર સુધીમાં નેશનલ લેવલે 4 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. હવે લક્ષ્ય એશિયા - ઓશિઆનિયા ચેમ્પિયનશીપ હાલ ગાંધીનગરના SAI (Sports Authority of India) ખાતે ટ્રેનિંગ લઈ રહેલા રામ બાંભવાની આ જીત સાથે જ આગામી મોટી સ્પર્ધા માટે પસંદગી થઈ છે. તેઓ હવે 7 થી 12 April દરમિયાન બેંગકોક (થાઈલેન્ડ) ખાતે યોજાનારી એશિયા - ઓશિઆનિયા ઓપન પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રામે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, તેઓ આગામી આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે.
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડના સૌજન્યથી ભાલ વિસ્તારના ભડભીડ ગામ ખાતે તાજેતરમાં એક મેગા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરીના રોજ યોજાયેલી આ શિબિરમાં કુલ 370 ગ્રામજનોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શિબિરમાં ખાસ કરીને શાળાના બાળકોના લોહીમાં હિમોગ્લોબિનની તપાસ કરી સ્વાસ્થ્ય માર્ગદર્શન અપાયું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ અને સંકલનઆ કાર્યક્રમમાં શિશુવિહારના નિયામક ધર્મેશભાઈ વડોદરિયા, ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, ડૉ. અભિલાષાબહેન સોનપાલ અને નિરમા લિમિટેડના વિષ્ણુભાઈ લુણાવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંકલન અનિલભાઈ બોરીચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞથી ભાલના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી.
ધરમપુરમાં સગીરાનું અપહરણ:લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો હોવાની શંકા, પોલીસે શોધખોળ શરૂ કરી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. એક યુવક પર સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ફરિયાદ અનુસાર, ધરમપુર શહેરમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા સગીરા સાથે મિત્રતા બાંધી હતી. તેણે સગીરા સાથે નિયમિત વાતચીત કરીને તેની અંગત માહિતી મેળવી હતી. આ મિત્રતાનો લાભ ઉઠાવી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ છે. 19 જાન્યુઆરીના રોજ સગીરા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની આસપાસના વિસ્તારોમાં તેમજ વલસાડ જિલ્લાના વિવિધ સ્થળોએ શોધખોળ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સગીરા ન મળતાં, પરિવારજનોએ તેની બહેનપણીની મદદ લીધી. તેમાંથી જાણવા મળ્યું કે, ધરમપુરના એક યુવકે લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હોવાની શંકા છે. આ માહિતીના આધારે સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે કેસ નોંધીને ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. પોલીસે સગીરાની શોધખોળ અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી હોવાનું જણાવ્યું છે.
સુરત ડાયમંડ બુર્સમાં વેપારીઓ અને બ્રોકરોની અવરજવર અનિયમિત રહેતા આખરે સિટી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી. બુર્સમાં 4700 ઓફિસો હોવા છતાં, માંડ 250 માંથી 80 રેગ્યુલર ઓફિસો કાર્યરત છે, જેના કારણે વેપારીઓ રોજેરોજ બુર્સ ખાતે જતા નહોતા. મુસાફરોની સંખ્યા નહિવત રહેતા અને બસો ખાલી દોડતી હોવાથી વહીવટી તંત્રને આર્થિક નુકસાન જતું હતું, જેને પગલે અગાઉની સિટી બસ સેવા સદંતર બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી એસી બસ સેવા શરૂ કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. મુસાફરોના અભાવના કારણે બસો બંધ કરવી પડી હતીભૂતકાળના આંકડા જોઈએ તો 7 જુલાઈ, 2024ના રોજ ડાયમંડ બુર્સના રિ-ઓપનિંગ બાદ 8 જુલાઈથી 4 ઈલેક્ટ્રિક બસો શરૂ કરાઈ હતી. તંત્રનો અંદાજ હતો કે રોજિંદા 3000થી 5000 લોકો આ બસોનો લાભ લેશે પરંતુ, વેપારીઓ રોજેરોજ બુર્સ ન જતા હોવાથી આ બસો ખાલીખમ રસ્તા પર ફરતી રહી હતી. આ નિષ્ફળતાનું મુખ્ય કારણ મુસાફરોનો અભાવ જ હતો, જેના કારણે કતારગામ અને વરાછા જેવા વિસ્તારોની બસો આખરે બંધ કરવી પડી હતી. વેપારીઓ ઓફિસે નિયમિત ન આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોડેલ સંપૂર્ણપણે ફેલ ગયુંકતારગામ અને વરાછાથી સવારે 8:15 વાગ્યે ઉપડતી બસોમાં જ્યારે વેપારીઓ અને બ્રોકરોની સંખ્યા શૂન્ય રહી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તેને ચલાવવી અશક્ય બની ગઈ હતી. વેપારીઓ પોતાની ઓફિસે નિયમિત ન આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોડેલ સંપૂર્ણપણે ફેલ ગયું હતું. હવે જ્યારે નવી AC બસ સેવા શરૂ કરવાની વાત છે, ત્યારે સૌથી મોટો પડકાર એ રહેશે કે વેપારીઓ આ સુવિધાનો કેટલો નિયમિત ઉપયોગ કરે છે જેથી ફરીથી બંધ કરવાની નોબત ન આવે. ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે તમામ સોલ્યુશન અમે લાવીશુંબુર્સના ચેરમેન લાલજી ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી હતી પણ જેમ-જેમ 250 ઓફિસમાંથી 80 ઓફિસો થઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે, ટ્રાન્સપોર્ટેશનની જરૂર ઓછી છે એટલે ધીમે-ધીમે બંધ કરી દીધી પરંતુ, આ વખતે હર્ષભાઈએ એ પણ ખાતરી આપી છે કે, એસી સાથેની બસ અમે જેટલી જોઈએ એટલી દર 15 મિનિટે, દર 30 મિનિટે મહિધરપુરા અને મિનીબજાર બંને જગ્યાએથી ઉપડશે એવી અમે વ્યવસ્થા કરી દઈશું. તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પણ ખામી લાગે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે ત્યાં અવરજવર માટે જે પણ તકલીફ હોય એ તમામ સોલ્યુશન ડાયમંડ બુર્સ તરફથી અમે 100 ટકા ખાતરી આપી છે કે અમે સોલ્વ કરીશું. ડાયમંડ ઉદ્યોગના લોકોમાં ફરી એકવાર નવી આશાનો સંચાર થયોટ્રાન્સપોર્ટેશનની આ ખોરવાયેલી સુવિધાને ફરી બેઠી કરવા માટે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ મહત્વની પહેલ કરી છે. તેમણે વેપારીઓને ખાતરી આપી છે કે, બુર્સ માટે હવે ખાસ AC બસ સેવા શરૂ કરવામાં આવશે. વેપારીઓ અને બ્રોકરોને ગરમીથી રાહત મળે અને તેઓ આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી આ લક્ઝુરિયસ બસો દોડાવવાનું આયોજન છે. આ જાહેરાતથી ડાયમંડ ઉદ્યોગના લોકોમાં ફરી એકવાર નવી આશાનો સંચાર થયો છે. AC બસ સેવા વેપારીઓને બુર્સ સુધી ખેંચી લાવવા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે18 ફેબ્રઆરીથી સુરત ડાયમંડ બુર્સમાં વધુ 68 નવી ઓફિસો વિધિવત રીતે શરૂ થવાની શક્યતા છે. આ નવી શરૂઆતને વેગ આપવા માટે હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે, વેપારીઓની જરૂરિયાત મુજબ ગમે તેટલી AC બસો ફાળવવામાં આવશે. જો વેપારીઓ નિયમિતપણે બુર્સમાં આવવાનું શરૂ કરે તો સરકાર પરિવહન માટે કોઈ કમી રાખશે નહીં. આ નવી AC બસ સેવા વેપારીઓને જૂના બજારમાંથી નવા બુર્સ સુધી ખેંચી લાવવા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વેપારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે એવો વ્યૂહાત્મક પ્રયાસખજોદમાં 3400 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય સંકુલમાં 35.54 એકરના વિસ્તારમાં કુલ 9 ટાવર આવેલા છે. 67 લાખ ચોરસ ફૂટના આ વિશાળ સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ સુવિધાઓ તો છે પણ કનેક્ટિવિટીના અભાવે તે વેરાન ભાસતું હતું. હર્ષ સંઘવી દ્વારા AC બસની જાહેરાત એ માત્ર એક સુવિધા નથી, પરંતુ હીરા ઉદ્યોગને બુર્સ તરફ વાળવા માટેનો એક વ્યૂહાત્મક પ્રયાસ છે. જેથી વેપારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે. અંતે, 18 ફેબ્રઆરીથી શરૂ થનાર નવો તબક્કો સુરત ડાયમંડ બુર્સ માટે નિર્ણાયક સાબિત થશે. જો નવી ઓફિસો ધમધમશે અને વેપારીઓ રોજેરોજ બુર્સ ખાતે હાજરી આપશે તો નવી AC બસ સેવા ચોક્કસપણે સફળ રહેશે. વેપારીઓનો સાથ અને સરકારની સુવિધા જ્યારે એકસાથે મળશે ત્યારે જ વિશ્વનું આ સૌથી મોટું હીરા બજાર ખરા અર્થમાં વૈશ્વિક હબ બની શકશે. હવે જોવાનું એ રહેશે કે વેપારીઓ આ AC બસ સેવાનો કેવો પ્રતિસાદ આપે છે.
જામનગરમાં ઓશવાલ સેન્ટર (પાયલોટ બંગલો) થી દિગ્જામ સર્કલ સુધીના ખોડિયાર કોલોનીના ગીચ માર્ગ પર ટ્રાફિક ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિક્સ લેન રોડ બનાવવાની મંજૂરી મળ્યા બાદ જામનગર મહાનગરપાલિકા સક્રિય બની છે. આશરે રૂ. 15 કરોડના ખર્ચે બનનારા આ માર્ગની સુવિધાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને તેનું કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે. પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીના હાલના ફોરલેન રોડની પહોળાઈ બંને બાજુ 7.50 મીટરથી વધારીને 11.50 મીટર કરાશે. આનાથી ભારે, મધ્યમ અને નાના ટુ-વ્હીલર વાહનોને તેમની સમર્પિત લેન મળશે, જેનાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે. રાહદારીઓની સલામતી માટે બંને બાજુ અલગથી ફૂટપાથની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં પાઈપલાઈન, કેબલ અને ગેસ જેવી અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી માટે બંને બાજુ યુટિલિટી ડક્ટ (આર.સી.સી.)નું આયોજન કરાયું છે. આનાથી રોડને વારંવાર થતું નુકસાન અટકાવી શકાશે. વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમની જોગવાઈ કરાઈ છે. સિક્સ લેન રોડમાં મુખ્ય સુવિધાઓમાં મેઈન કેરેજ-વે (બંને બાજુ 11.50 મીટર), સેન્ટ્રલ લાઈટિંગ ડિવાઈડર (1.00 મીટર પહોળાઈ), યુટિલિટી ડક્ટ (બંને બાજુ 1.50 મીટર), ફૂટપાથ (યુટિલિટી ડક્ટ ઉપર બંને બાજુ 1.50 મીટર), સર્વિસ રોડ/પાર્કિંગ (બંને બાજુ 4.50 મીટર), આઈલેન્ડ ડેવલપમેન્ટ, રોડ માર્કિંગ, સાઈનેજીસ, રોડ ફર્નિચર અને સેન્ટ્રલ લાઈટિંગનો સમાવેશ થાય છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગનું નિરીક્ષણ કરાયા બાદ તુરંત જ કાર્યવાહી હાથ ધરાશે. સિક્સ લેન માર્ગનું કાર્ય નજીકના ભવિષ્યમાં શરૂ થઈને આશરે એકથી દોઢ વર્ષમાં પૂર્ણ થશે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું કે, આ રોડ બનવાથી જામનગરની જનતાને ટ્રાફિકમાંથી રાહત મળશે. રોડના સર્વે અને વિઝિટ દરમિયાન કમિશનર ડી. એન. મોદી સાથે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતની ટીમ જોડાઈ હતી.
કાંકણપુર કોલેજમાં MG મોટરનો મહિલા ભરતી મેળો:૧૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો, રોજગારીની તક મળી
કાંકણપુરની શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એસ. ગાડી કોમર્સ કોલેજ ખાતે એમ.જી. મોટર હાલોલ દ્વારા મહિલાઓ માટે એક વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ અને શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેળામાં 100થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ બહેનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વ્યવસાયિક ક્ષેત્રે સફળ થવા માટે ઈમાનદારી, મહેનત અને સતત નવી સ્કિલ શીખવી અનિવાર્ય છે. કોલેજના આચાર્ય ડો. જગદીશભાઈ પટેલે પણ ઉપસ્થિત બહેનોને આ તકનો લાભ લઈ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ભરતી પ્રક્રિયાનું સંચાલન શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેરના કોઓર્ડિનેટર ડો. મહેશ રાઠવા અને પ્લેસમેન્ટ સેલના ડો. કનુભાઈ ચંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાઇબલ સેલના સભ્યો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. કોલેજ પ્રશાસને ભવિષ્યમાં પણ આવા રોજગારલક્ષી કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ખાતરી આપી હતી.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકાર અને યુનેસ્કોના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી સંલગ્ન 58 કોલેજોના કુલ 113 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર અપરાધો સામે જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને વ્યવહારુ સુરક્ષાના પાઠ શીખવવાનો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કવચ કેન્દ્ર દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમમાં પરંપરાગત ઉદ્ઘાટન વિધિને બદલે સીધા જ તાલીમ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનેસ્કોના માર્ગદર્શન હેઠળ નિષ્ણાતો દ્વારા ઇન્ફોર્મેશન, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો. ડિજિટલ એરેસ્ટ જેવી ઓનલાઇન છેતરપિંડીની પદ્ધતિઓ, તેનાથી બચવાના કાનૂની અને વ્યવહારિક ઉપાયો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ સત્રમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપયોગમાં રાખવાની સાવચેતી તેમજ શંકાસ્પદ મેસેજ ઓળખવાની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમને માત્ર વ્યાખ્યાન સુધી મર્યાદિત ન રાખતા, કેસ સ્ટડી, પ્રશ્નોત્તરી અને વિવિધ ગેમ્સ દ્વારા તેને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો. આયોજકોનો ઉદ્દેશ હતો કે તાલીમ મેળવેલા 113 વિદ્યાર્થીઓ પોતાની કોલેજ અને સમાજમાં સાયબર સુરક્ષાના એમ્બેસેડર બની અન્ય લોકોને જાગૃત કરે. તજજ્ઞોએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી નવી તરકીબો સામે સતત અપડેટ રહેવું એ જ સુરક્ષાનો શ્રેષ્ઠ માર્ગ છે. વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભવિષ્યમાં આવા વધુ આયોજનો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કવચ કેન્દ્રના નોડલ ઓફિસર હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. યુનેસ્કો તરફથી નિષ્ણાત તરીકે મહંમદ અફઝલ, અન્વિતા પરમાર, કથા રે, અનુષ્કા વર્મા, મજહર મોહીન અને મીનલ છેડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી વિભાગના તપસ ચક્રવર્તી, યોગેશ પરમાર તેમજ સંસ્કૃત વિભાગના વિપુલભાઈ પરમાર અને દિલીપ પટેલ સહિતના સ્ટાફ મિત્રોએ સહયોગ આપ્યો હતો. યુવાન પેઢીને ડિજિટલ સુરક્ષા પૂરી પાડવા માટે લેવાયેલું આ પગલું પ્રશંસનીય રહ્યું હતું.
ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમે શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી 18 ખાણી-પીણીની દુકાનો અને હોટલોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રસોડાની સફાઈ, સેનેટરી વ્યવસ્થા અને હાઈજેનિક પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. અનેક દુકાનો અને હોટલોને સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ અપાઈ હતી. કેટલીક ફાસ્ટફૂડની દુકાનોમાંથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. કાર્યવાહી દરમિયાન, વિભાગે અંદાજે 10 લિટર વડાપાઉંની ચટણી, 5 લિટર બળેલું તેલ અને 5 કિલો બિરિયાનીના ચોખાનો નાશ કર્યો હતો. દુકાનદારો અને કામદારોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત ખોરાક તૈયાર કરવા અને ગ્રાહકોને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો વેચવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સમયમાં જો ફરી બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચતા વેપારીઓ સામે આવશે, તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા અનોખો અને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓના અભાવ અને યુનિવર્સિટીની બગડતી સ્થિતિ સામે NSUIના કાર્યકરો લારી લઈને કેમ્પસમાં ઉતરી આવ્યા હતા. લારી પર તૂટેલી અને બિનઉપયોગી સામગ્રી મૂકીને યુનિવર્સિટી પ્રશાસન તથા રાજ્ય સરકાર સામે ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ અને ગુજરાત યુનિવર્સિટીની હાલત ખરાબ હોવાનો NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. લારી પર યુનિવર્સિટીની ખામીઓ દર્શાવી NSUIના કાર્યકર્તાઓ લારી લઈને સમગ્ર કેમ્પસમાં ફર્યા હતા. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પાણી વગર તરસતા હોવાનો આક્ષેપદિલ્હી વિશ્વ વિધાલયના પૂર્વ અધ્યક્ષ રોનક ખત્રી પણ ગુજરાત યુનિવર્સિટી આવ્યા હતા. જે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની ખામીઓને NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલમાં પીવાનું પાણી પણ વિદ્યાર્થીઓને ન મળતું હોવાથી લારી પર તૂટેલી ડોલ રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પાણી વગર તરસતા હોવા છતાં પાણી ન અપાતું હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. તૂટેલી ડોલ, કેલ્ક્યુલેટર, ખુરશી, ટેબલ અને સ્પોર્ટ્સ સાધનો મૂકી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ માટે શિક્ષકનું સ્તર સુધારવા માટેની પણ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. એજ્યુકેશન આજે લારીના સ્તર પર આવી ચૂક્યું છેદિલ્લી વિશ્વ વિધાલયના પૂર્વ અધ્યક્ષ રોનક ખત્રીએ જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તો સામે આવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીની સૌથી ખરાબ હાલત છે કારણ કે વિદ્યાર્થીઓ પાસે પીવા માટે પૂરતું પાણી પણ મળતું નથી. હોસ્ટલમાં વિદ્યાર્થીઓ કેવું પાણી પીવે છે તે સૌથી મોટો સવાલ છે. વિશ્વ ગુરુ ભારતમાં પણ પીવાના પાણી માટે તરસવું પડે છે. એજ્યુકેશન ભારતને આકાશ સુધીની ઊંચાઈ પર લઈ જશે એવું કહેવામાં આવતું હતું પરંતુ, એજ્યુકેશન આજે લારીના સ્તર પર આવી ચૂક્યું છે. એજ્યુકેશનમાં સ્તર સુધારવા માટે બજેટ વધારવામાં આવે એવી અમારી માંગણી છે. બજેટ વધારવાની સાથે-સાથે અધિકારીઓના કિસ્સામાં જે રૂપિયા જાય છે, તે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધરે એવી માગવધુમાં રોનક ખત્રીએ જણાવ્યું હતું કે, દરેક કોર્સમાં ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફી વધારવામાં આવી પરંતુ સુવિધા વધારવામાં આવી નથી. નવા ક્લાસરૂપ અને એજ્યુકેશન પર ખર્ચ થતો હોય તો વિદ્યાર્થીઓને કોઈ વાંધો ન આવે. નવી એજ્યુકેશન પોલિસી નહીં પરંતુ, નવી એન્ટરટેઈનમેન્ટ પોલિસી છે. પહેલા સરકારી યુનિવર્સિટીઓને ગ્રાન્ટ મળતી હતી, અત્યારે લોન આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે. નવા વિષય એડ કરવામાં આવ્યા અને કોઈને ભણાવતા આવડતું નથી. એજ્યુકેશન મિનિસ્ટર અમારી માંગણી સમજે અને વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધરે તેવી વ્યવસ્થા કરે તેવી અમારી માંગણી છે.
આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે જેને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામ દૂર થશે કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી. જેને મ્યુનિસિપલ કોર્પોરેશને ના મંજૂર કરી છે. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો છે. જેમાં આજે મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વર્ષોથી વિવાદમાં રહેલા આ આશ્રમના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે. 'ગેરકાયદેસર બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસ'લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્પોર્ટસ સંકુલ ડેવલોપમેન્ટ ફેઝ ટુની કામગીરી કરવામાં આવનાર છે. જેના ડેવલોપમેન્ટ માટે ગેરકાયદેસર બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસો આપવામાં આવેલી છે. પ્રકાશ ગુર્જરે વધુમાં કહ્યું કે, ગુડામાં એપેલેટ ઓથોરિટી સમક્ષ અરજી કરવામાં આવી છે જે હાલમાં પેન્ડિંગ છે. જેથી કમિટી દ્વારા વકીલની ઝડપથી નિમણૂક કરી અને કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવેલી છે.
નવરગંપુરા સ્ટેડિયમ પાસે આવેલા ઇન્સ્ટાકાર્ટ કંપનીના સ્ટોરમાં થોડા દિવસો પહેલા એક વ્યક્તિ નોકરીએ લાગ્યો હતો. તેણે ચાર દિવસ બાદ તેના ઓળખીતાને નોકરીએ બોલાવ્યો હતો. આ ગઠિયાએ નોકરીએ આવ્યાના એક જ દિવસમાં છ ફોન ચોરી કર્યા હતા. તેને નોકરીએ રાખનારે પણ તેને ભગાડવામાં મદદગારી કરી હતી. નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. બંને આરોપીઓએ અચાનક નોકરીએ આવવાનું બંધ કર્યુંજુહાપુરામાં રહેતા અતીક સૈયદ ઇન્સ્ટાકાર્ટ કંપનીમાં એનફોર્સમેન્ટ અધિકારી તરીકે નોકરી કરે છે. આ કંપનીના ભારતભરમાં વેરહાઉસ અને સ્ટોર આવેલા છે. જે પૈકી એક સ્ટોર નવરંગપુરા સ્ટેડિયમ પાસે આવેલો છે. જે સ્ટોરથી ઓનલાઇન ઓર્ડરની વસ્તુઓનો સંગ્રહ અને વિતરણ થાય છે. ગત 24 નવેમ્બરે શોર્ટિંગ એક્ઝિક્યુટિવ તરીકે આદીત્ય સોની જોડાયો હતો. તે વિવિધ પાર્સલોનું સરનામા મુજબ વર્ગીકરણ કરવાનું કામ કરતો હતો. ચાર દિવસ બાદ તેણે એઝાઝ શેખને કામ પર રાખ્યો હતો. જે પછી બીજા જ દિવસથી બંનેએ નોકરીએ આવવાનું બંધ કરી દીધુ હતું. બંનેને ફોન કરવા છતાં બંને નોકરીએ ન આવતા સ્ટોરમાં તપાસ કરતા છ ફોન ગુમ હતા. સીસીટીવીમાં આરોપી 1.32 લાખના છ ફોન ચોરી કરતો દેખાયોજેથી સ્ટોરના સીસીટીવી તપાસ કરતા આ બંનેએ નોકરીના સમયગાળામાં 1.32 લાખના છ ફોનની ચોરી કરી હતી. એઝાઝે ફોનની ચોરી કરીને જેકેટમાં સંતાડ્યા હતા અને આદિત્યએ તેને ઇશારો કરીને બહાર ભગાવી મૂક્યો હતો. નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ કરતા બંને આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દારૂ પીવા અને મોજશોખ માટે ચોરીનો પ્લાન ઘડ્યોઝોન 1 ડીસીપી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું કે, પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, બંને આરોપીઓ દારૂ પીવાની લત ધરાવે છે અને આર્થિક તંગી તેમજ મોજશોખ પૂરા કરવા ચોરીનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને આશંકા છે કે આ બંને શખસો ચોરી કરવાના ઇરાદે જ નોકરીએ રહ્યા હતા. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ અગાઉ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે ચોરી કરી છે કે કેમ અને તેમની સામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં.
નવસારી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શો 24 થી 30 જાન્યુઆરી દરમિયાન સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી શહેરીજનો માટે નિશુલ્ક ખુલ્લો રહેશે. નવસારી મહાનગરપાલિકા (NMC) કમિશનર દેવ ચૌધરીએ લુંસીકુંઇ ખાતે આયોજન સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંચાલન કરતી એજન્સીને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ફ્લાવર શોમાં વિવિધ થીમ પર આધારિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ધાર્મિક, રાષ્ટ્રીય અને નવસારીની અસ્મિતાના પ્રતીક સમાન ફૂલોના સ્વરૂપો જોવા મળશે. અમદાવાદમાં યોજાતા મેગા ફ્લાવર શોની લોકપ્રિયતા અને જનતાના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને નવસારીમાં પણ આ પ્રકારનો શો યોજાઈ રહ્યો છે. જોકે, નવસારીનો ફ્લાવર શો કદમાં થોડો નાનો હશે, પરંતુ તેમાં કલાત્મકતા, આકર્ષકતા અને થીમેટિક રજૂઆત જાળવી રાખવામાં આવશે. આ શોની મુખ્ય વિશેષતા લાખો ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા અદ્ભુત શિલ્પો અને પ્રતિમાઓ છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ક્લોક ટાવર, વાઘ, સિંહ અને પતંગિયા જેવા કુદરતી તથા કલાત્મક મોડેલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવસારીના સપૂત જમશેદજી ટાટા અને મહાત્મા ગાંધીજીની કૃતિઓ પણ ફૂલોના રંગોથી શોભાયમાન થશે. પ્રકૃતિ અને સર્જનાત્મકતાનો આ અનોખો સંગમ શહેરીજનો માટે યાદગાર અનુભવ બની રહેશે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરમાં અનેક નવી યોજનાઓ, પ્રોજેક્ટો અને કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ફ્લાવર શો શહેરના ગૌરવમાં વધુ એક ઉમેરો કરશે તેવી અપેક્ષા છે. સોશિયલ મીડિયા અને શહેરમાં વધતી ચર્ચાઓને જોતા એક વાત સ્પષ્ટ છે કે, પરિવાર, બાળકો, યુવાનો, ફોટોગ્રાફર્સ, પ્રકૃતિપ્રેમીઓ અને કલા રસિકો માટે આ એક દૃશ્ય મોઝાઇક, કૃતિમહોત્સવ અને યાદગાર ક્ષણો સર્જી આપનાર ઉજવણી બની રહેશે. લાખો ફૂલ, હજારો મુલાકાતીઓથી નવસારી શહેર પ્રકૃતિના રંગોમાં ઝળહળશે. આવતા દિવસો નવસારી વિવિધ ફૂલોથી મહેકી ઊઠશે, જેવી રીતે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાતો હોય છે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું માર્ગદર્શન અને વિઝન છે કે 'વિકસિત ગુજરાત' એ અંતર્ગત 'વિકસિત નગરો' બને. આ જ ભાગરૂપે આ વર્ષે 2025-26 શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ અલથાણ ટેનામેન્ટ પાસે રહેતી 22 વર્ષીય યુવતી સાથે વિશ્વાસઘાત અને માનસિક ત્રાસની ગંભીર ઘટના સામે આવી છે. યુવતીની સોસાયટીમાં જ રહેતા હર્ષ રાજેશભાઈ પટેલ નામના યુવકે મિત્રતાનો લાભ ઉઠાવી યુવતીને લગ્નના નામે છેતરી હતી. આ મામલે યુવતીના પરિવારે હર્ષ અને તેના પરિવારના કુલ પાંચ સભ્યો વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોય તેવા ફોટા પડાવ્યા ઘટનાની વિગત મુજબ, ગત 19 ઓક્ટોબર 2024ના રોજ હર્ષ પટેલ યુવતીને ભરૂચના ઝગડિયા ખાતે ફરવા લઈ ગયો હતો. ત્યાં તેણે એક રજીસ્ટરમાં સહી કરાવી અને મંદિરમાં એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોય તેવા ફોટા પડાવ્યા હતા. હર્ષે યુવતીને વિશ્વાસ આપ્યો હતો કે આ બાબતે બંનેના માતા-પિતા વાતચીત કરીને લગ્ન કરાવી આપશે. યુવતીએ યુવક સાથે રહેવાની ના પાડી ને છૂટાછેડાની માંગણીજોકે, ત્યારબાદ હર્ષે લગ્ન અંગે કોઈ વાતચીત ન કરતા યુવતીએ તેની સાથે રહેવાની ના પાડી છૂટાછેડાની માંગણી કરી હતી. યુવતી દ્વારા છૂટાછેડા માંગવામાં આવતા જ હર્ષ અને તેના પરિવારે અસલી રૂપ બતાવ્યું હતું. ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીહર્ષે તેની પાસે રહેલા યુવતીના ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેણે ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી યુવતીને બદનામ કરવાની પણ બીક બતાવી હતી. આ વિવાદમાં હર્ષનો પરિવાર પણ જોડાયો હતો અને તેમણે યુવતીને છૂટાછેડા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. યુવતીને સમાજમાં બદનામ કરવાના પ્રયાસો કર્યાઆ મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે હર્ષની માતા હસુમતી પટેલે યુવતીની માતા સાથે થયેલી ખાનગી વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ્સ સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અને સગા-સંબંધીઓને મોકલી આપ્યા હતા. પરિવાર દ્વારા જાણીજોઈને યુવતીને સમાજમાં બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને બદનામીથી કંટાળીને અંતે યુવતીના પરિવારે પોલીસનો સહારો લીધો હતો. એક જ પરિવારના 5 સામે ગુનો નોંધાયોખટોદરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા મુખ્ય આરોપી હર્ષ પટેલ, તેના પિતા રાજેશભાઈ, માતા હસુમતીબેન, ભાઈ સીમીત અને ભાભી પૂજાબેન વિરુદ્ધ આઈટી એક્ટ અને ધાક-ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
ગુજરાત નજીક દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમુદ્રની સપાટી પર અચાનક પાણી ઉકળતું હોય તેમ વિશાળ પરપોટાં દેખાતા માછીમારોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, દરિયાના તળિયેથી પસાર થતી કોઈ ગેસ પાઈપલાઈનમાં મોટા ભંગાણને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની શક્યતા છે. જાણે જ્વાળામુખી ફાટ્યો હોય તેવા દ્રશ્યોદરિયાની મધ્યમાં માછીમારી કરી રહેલા ખલાસીઓએ જોયું કે એક ચોક્કસ વિસ્તારમાં પાણી ઉકળી રહ્યું છે અને સતત ગેસના વિશાળ પરપોટા બહાર આવી રહ્યા છે. કેટલાક સ્થાનિક માછીમારોએ આ ભયાનક દ્રશ્યને જ્વાળામુખી ફાટવા જેવી ઘટના ગણાવી હતી. આ અંગેની જાણ ગુજરાત માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટંડેલને કરવામાં આવતા તેમણે તાત્કાલિક પાલઘર મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને સંબંધિત એજન્સીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. તંત્ર દ્વારા તપાસના આદેશ અને સાવચેતીઘટનાની ગંભીરતાને જોતા પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, કોસ્ટલ વિભાગ અને મેરિટાઇમ એજન્સીની ટેકનિકલ ટીમોને તપાસ માટે રવાના કરવામાં આવી છે. ગેસ લાઈન ભંગાણ: પ્રાથમિક તપાસમાં દરિયાના પેટાળમાં રહેલી ગેસ પાઈપલાઈનમાં લીકેજ હોવાનું જણાય છે. સંબંધિત ગેસ લાઈન ઓપરેટર ટીમને રિપેરિંગ અને તપાસ માટે જાણ કરવામાં આવી છે. પ્રતિબંધિત વિસ્તાર: સુરક્ષાના કારણોસર માછીમારો અને બોટચાલકોને આ અસરગ્રસ્ત વિસ્તારની આસપાસ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. અફવાઓથી દૂર રહેવા અપીલઆ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો વહેતી થઈ છે. આ સંદર્ભે માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટંડેલે જણાવ્યું હતું કે, અમે સતત તંત્રના સંપર્કમાં છીએ. માછીમારોએ ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં. ટેકનિકલ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં સાચું કારણ બહાર આવશે. હાલમાં દરિયામાં થતા આ 'ઉકળાટ'નું ચોક્કસ કારણ જાણવા વિવિધ એજન્સીઓ સેમ્પલિંગ અને સર્વેની કામગીરી કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવા માટે 18મી જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે ડેડલાઈન પૂર્ણ થઈ ગઈ પણ વિવાદો શમવાનું નામ લેતા નથી.ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, SIR કામગીરીમાં ફોર્મ 7નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ એક વ્યક્તિ એક મતનો અધિકાર છીનવી રહ્યો છે. રાજ્યમાં 10 લાખ જેટલા ફોર્મ 7 ખોટી રીતે કચેરીઓમાં જમાં કરી દેવામાં આવ્યા છે. બારોબાર મત રદ કરવા માટે ખોટી રીતે ફોર્મ 7 કચેરીઓમાં જમાં કરવામાં આવ્યા છે. તેના CCTV જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે. ખોટો વાંધો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવે. જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તમામ કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી દરેક જિલ્લામાં ફોર્મ 7 ખૂબ ઓછા આવ્યા હતા. 16થી 18 જાન્યુઆરી સુધી આયોજનપૂર્વક લાખોની સંખ્યામાં ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે. આવતીકાલ સુધી ચૂંટણીપંચ વાંધા અરજી આપનારની વિગતો રજૂ નહીં કરે તો કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરશે. મતદારોને સાથે લઈ તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે. તેમ છતાં યોગ્ય પગલા નહીં લેવાય તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. અમિત ચાવડાએ આગળ જણાવ્યું હતું કે, લોકોના કિંમતી મતનો અધિકાર છીનવવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. જે ઓર્ગેનાઇઝ છે એટલે કે જે નેક્સેસ ચાલતું હતું એ વોટચોરીના મુદ્દે રાહુલ ગાંધીએ પહેલી વખત ઓગસ્ટ 2025માં ખુલ્લું પાડ્યું. SIRથી ગુજરાતમાં પણ નવેમ્બર 2025થી આવી શરૂઆત થઈ અને ચૂંટણીપંચે ખૂબ ઢોલ વગાડીને કીધું કે મતદાર યાદી શુદ્ધ બનાવી રહ્યા છીએ. એક પણ ખોટો મતદાર નહીં હોય કોઈનો પણ મતનો અધિકાર નહીં છીનવવામાં આવે. અમે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જઈને કામગીરી કરી રહ્યા છીએ તેવો દાવો કરવામાં આવ્યો હતો. લોકોના મતના અધિકારની રક્ષા માટે અને BLOની પ્રક્રિયામાં મહેનત કરી. એક BLOએ સરકારી તંત્ર અને સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા જ માનસિક ત્રાસ આપવામાં આવે છે અને BLO જિંદગી ટૂંકાવું આત્મહત્યા કરે છે. 19 ડિસેમ્બરે મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી એ વખતે જોગવાઈ છે કે કોઈને વિરોધ હોય તો ફોર્મ નંબર 7 ભરી શકે છે. કોઈના નામ રહી ગયા હોય તો ફોર્મ નંબર 6 ભરી શકે છે અને કોઈ સુધારો કરવો હોય તો તે અન્ય ફોર્મ ભરી શકે છે. ફોર્મ નંબર 7 એટલે કે મતદાર યાદીમાં જેનું નામ હોય એની સામે કોઈને પણ વાંધો હોય તો અરજદાર પૂરતા પુરાવા સાથે ફોર્મ નંબર 7 સાથે વાંધો આપી શકે છે. અચાનક એક દિવસ કાવતરું રચીને ચોક્કસ રાજકીય પાર્ટીની ભાગીદારીથી જથ્થાબંધ રીતે ફોર્મ નંબર 7 ભરાવીને કચેરીમાં જમા કરવામાં આવ્યા છે. કેટલાક લોકોએ નિયમ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ વેમાં એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મ જમા કરાવ્યા છે. કચેરીના CCTV જોઈએ તો પણ ખબર પડે કે કોણ અને કેટલા ફોર્મ લઈને આવ્યા છે. જેથી ચૂંટણી અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે કે નામ કમી કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીના આગેવાન અને અધિકારીઓ આમાં સંડોવાયેલા છે. ફોર્મનો સ્વીકાર કરી હજારો સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરાયા છે. અમે માહિતી માંગી તો અમને વિગતો આપવામાં આવી નહીં. જેથી ચૂંટણી પંચ પણ આ કાવતરામાં સંડોવાયેલું છે. ભાજપના નેતાઓ ફોર્મ ભરવા માટે આવે છે અને કચેરીમાં જમા કરાવે છે. ખોટું કરવાવાળા સામે પગલાં લઈ અમને માહિતી આપવો જોઈએ તેવી અમે માંગ કરી છે. પરંતુ કોઈ માહિતી રાજકીય પક્ષોને આપવામાં આવતી નથી. પબ્લિક ડોમેઇન પણ મૂકવામાં આવી નથી. 18 તારીખ સુધીમાં 10 લાખ કરતા વધારે ફોર્મ નંબર 7 કચેરીમાં જમા થઈ ગયા છે. જે દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક BLOએ કહ્યું હતું કે મારા બુથ નંબર ભાગ નંબર 253ના 88 જેટલા ફોર્મ નંબર 7 આવ્યા છે. 88 જેટલા ફોર્મ બારોબાર કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગરૂપે આવી રીતે ફોર્મ નંબર 7 ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે તેને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. FIR ની માંગ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી કર્મચારી આ પ્રક્રિયા દરમિયાન ખોટુ કરે તો તેની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે. ખોટી માહિતી આપે અને આ ફોર્મ-7 ભરાયું છે. જો તમે ખોટો વાયદો ખોટી માહિતી આપો કે ખોટો એકરાર કરો તો FIR થાય છે. એક વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. જેથી ફરિયાદ કરવા માટે એક પ્રમાણિક BLOએ ચૂંટણી અધિકારીને મોકલી છે. જુદા જુદા ફોર્મની અમે ચકાસણી કરી તો સામે આવ્યું કે મતદાનની વિગતો કમ્પ્યૂટરના આધારે લખવામાં આવી છે. તમામ ફોર્મમાં મતદારની માહિતી લખેલું ફોર્મ એક સમાન જોવા મળી રહ્યું છે. ફોર્મ નંબર 7માં મોબાઇલ નંબર પણ ખોટા લખવામાં આવ્યા છે. ખંભાતમાં એક કોર્પોરેટરના માતાને જીવીત ન હોવાનું કહી વાંધો ઉઠાવવામાં આવ્યો છે, એટલે કે જે જીવિત છે તેમનો મત હટાવવા માટે ખોટી રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલાય અરજદાર એવું કહેતા હતા કે અમે કોઈ વાંધો ઉઠાવ્યો નથી અને કોઈ સહી કરી નથી. જેથી એક નેક્સેસ ઊભું કરીને ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. ખોટી રીતે ફોર્મ ભરીને કોઈના નામ કમી ન થાય તે માટે ગુજરાતમાં દરેક બૂથમાં જેટલા પણ ફોર્મ નંબર 7 અને 6 આવ્યા છે, તેની માહિતી રાજકીય પક્ષને આપો અને તેને પબ્લિક ડોમેઇન પર મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. તેમજ જો ખોટું કર્યું છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. કઈ તારીખે ક્યા વ્યક્તિ દ્વારા ફોર્મ આપવામાં આવ્યા છે તેના CCTV વીડિયો પણ જાહેર કરવામાં આવે. કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જેથી જો આવું થશે તો ખોટા વાંધાની ચકાસણી કરીને તપાસ થાય તો તેમના મત કપાતા અટકી જાય છે. જો પુરાવા હોય તો BLOને ચોક્કસ નોટિસ આપીને અને ખોટો મતદાર હોય તો તે રદ કરો તેનો અમને કોઈ વાંધો નથી. અરજદાર પુરાવા ન આપે તો કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી અધિકારીઓએ ફરિયાદ નોંધવી જોઈએ. જેથી કરીને ષડયંત્ર કરવાનો કોઈ પ્રયાસ ન કરે તેવી અમારી માંગણી છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ છે તે તમારા વોટના અધિકારને છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તમામ લોકો 30 તારીખ પહેલા મતદાન મથક પર જઈને મતદારયાદી ચેક કરી લેજો. જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ, તાલુકા પંચાયતમાં જઈને ધરણા પ્રદર્શન કરીશું. તેમજ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં જઈને એક પણ વોટ રદ થવા નહીં દઇએ.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલ કતલખાના બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે ઊજવણી થશેશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ બાબતે તમામ મ્યુનિસિપલ કમિશનરો અને કમિશનર, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખી જાણ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે આ દિવસને ખાસ રીતે ઉજવવા માટે રાજ્યમાં કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કુબેરનગર વિસ્તારમાં પોલીસે દારૂ મામલે સપાટો બોલાવી દીધો છે.પોલીસે ગઈકાલે કુબેરનગરમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લીધી છે. બે દિવસ પહેલા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી બે દિવસમાં બે દેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. મોટવાણી બંગલા નજીક મકાનમાં ધાબા પર ચાલતી ભઠ્ઠી ઝડપાઈ સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી.ચંપાવત અને તેમની ટીમને બાતમી મળી હતીકે કુબેરનગર મોટવાણી બંગ્લાની સામેની ગલીમાં રહેતી રાખી જયરાજ ઈન્દ્રેકર પોતાના મકાનના ધાબા ઉપર દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહી છે. બાતમીના આધારે સરદારનગર પોલીસની ટીમ તરત જ રાખીના ઘરે પહોચી ગઈ હતી. પોલીસે રેડ દરમિયાન 28 લીટર દેશી દારૂનો જથ્થો, 4800 લીટર દેશીદારૂ ગાળવાનો વોશ લોંખડના સગડા, પીપળા, તગારા, ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાખીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે રાખી ઘણા સમયથી દેશી દારૂ બનાવવાનું કામ કરે છે અને તેને શહેરના વિવિધ બુટલેગર્સને સપ્લાય કરે છે. પોલીસે રેડ કરતાની સાથેજ માહોલ તંગ થઈ ગયો હતો. બે દિવસ પહેલા પણ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ની ટીમે કર્યો હતો. એલસીબીએ 6500 લીટર દેશી ગાળવાનો વોશ, 40 લીટર દેશી દારૂ તેમજ અન્ય ચીજવસ્તુઓ પણ જપ્ત કરી હતી. પીસીબીએ પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પીસીબીની ટીમે ચાંદખેડામાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક ખેપીયાની ધરપકડ કરી છે.પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, વૈષ્ણવદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના રસ્તા પર એક કારમાં દારૂ આવી રહ્યો છે.પીસીબીની ટીમ વોચમાં હતી ત્યારે એક સફેદ કલરની ક્રેટા કાર આવી હતી. ક્રેટ કારને રોકી ડ્રાઈવર વિક્કી ઉર્ફે વિક્રમ પરીહારની અટકાયત કરી લીધી હતી. કારમાં ચેક કરતા 6 લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે પહેલા વૈષ્ણવદેવી નજીકના અંડરબ્રિજ પર ટ્રાફિકજામ કરાવી દીધો હતો અને ત્યારબાદ દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. ગાડીની અંદર અલગ અલગ આરટીઓની નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે કારની નંબર પ્લેટ ચેક કરતા તે ખોટી હોવાનું સામે આવ્યુ હતું. પીસીબીએ તરતજ વિક્કીની ધરપકડ કરી હતી. વિક્કીએ પીસીબીની પુછપરછમાં કબુલાત કરી છેકે દારૂ ભરેલી કારને મધર ડેરી પાસેના કનોરીયા હોસ્પિટલના પાર્કિગમાં લઈ જવાની હતી. પોલીસ પકડે નહી તે માટે પહેલા સોનુ ઉર્ફે ભુંકપ અને ડ્રાઈવર પાઈલોટીંગ કરતા હતા. જો પોલીસ જોવા મળે તો તરતજ સોનું એલર્ટ કરી દેતો હતો. બ્રાન્ડેડ બોટલમાં લોકલ શરાબ ભરી વેચવાનું રેકેટઓઢવના આદીનાથનગર વિસ્તારમાં આવેલી અરિહંત સોસાયટીમાં રહેતી શાહ દંપતી વિદેશી દારૂ બનાવવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દંપતીએ ભેગા થઈને ડુપ્લિકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યુ હતુ. પોલીસે બાતમીના આધારે શાહ દંપતીના ઘરમાં દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાની કિંમતનો ડુપ્લિકેટ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે લક્ષ્મી શાહની ધરપકડ કરી છે અને અલ્પેશ શાહ વોન્ટેડ છે. અલ્પેશ શાહની દીકરીના લગ્ન હોવાથી તેમણે દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે અલ્પેશના ઘરમાંથી દારૂ બનાવવાનું મટીરીયલ, કાચની બોટલ, વિવિધ દારૂની બ્રાન્ડના સ્ટીકર અને બુચ જપ્ત કર્યા છે.પોલીસની રેડ બાદ અલ્પેશ વોન્ટેડ છે અને લક્ષ્મીની ધરપકડ કરી છે. હાલ પોલીસે દંપતી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અલ્પેશ દારૂની હોમ ડીલીવરી કરતો હોવાનું સામે આવ્યુ છે. સોલા, અસલાલી અને બગોદરામાંથી 83 લાખનો દારૂ ઝડપાયોઅમદાવાદ સહિત રાજ્યના ખુણેખુણે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. પોલીસ અડ્ડા ઉપર દરોડા પાડે છે તો ક્યારે રોડ પરથી દારૂ ઝડપી પાડે છે. ગઈકાલે સોલા, અસલાલી અને બગોદરાથી પોલીસે 83 લાખની કિંમનો દારૂ ઝડપી લીધો છે. ટાઈલ્સના પાવડર, ડાંગરની ખુસ્કી અને પ્લાસિટકના પીપડાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.
વડોદરા શહેરની પાલિકા સંચાલિત શાળાઓમાં દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા દેશમાં પ્રથમ વખત માસિક સુરક્ષા અભિયાન (Period Poverty Free Mission) શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત પૂ. ડોંગરેજી મહારાજ શાળા ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર નીરવભાઇ ઠક્કર, પાલિકાની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનબેન ઠક્કર અને પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓને પિરિયડ પોવર્ટી ફ્રી બનાવવાનો છે. પૂરાવા આધારિત (Evidence Based) અભિયાન શ્રવણ સેવા ફાઉન્ડેશનનો આ પ્રોજેક્ટ માત્ર કિટ વિતરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંપૂર્ણપણે એવિડન્સ બેઝ્ડ છે. આગામી 1 વર્ષ સુધી પાલિકાની 10 શાળાઓમાં દીકરીઓને નિયમિતપણે પિરિયડ હાઇજીન કિટ પૂરી પાડવામાં આવશે. સંસ્થા દ્વારા આ કિટના ઉપયોગ અને તેનાથી દીકરીઓના સ્વાસ્થ્યમાં આવતા સુધારાનો ચોક્કસ રેકોર્ડ રાખવામાં આવશે. આ ડેટાના આધારે ભવિષ્યમાં આ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. સંસ્થા છેલ્લા 5 વર્ષથી વૃદ્ધો અને પશુઓની સેવામાં કાર્યરત છે અને હવે દીકરીઓ માટે આ નવો આયામ શરૂ કર્યો છે. હાઇજીન કિટની વિશેષતાઓ પ્રોજેક્ટ પેડ સેફ હેઠળ તૈયાર કરવામાં આવેલી કિટ અત્યંત આધુનિક અને ઉપયોગી છે. દરેક દીકરીને તેની માસિક જરૂરિયાત કરતા વધુ એટલે કે 10 સેનેટરી પેડ્સ, વેટ ટિશ્યું, પેપર સોપ, ડિસ્પોઝેબલ બેગ અને ટાઇમ ટેબલ સાથેની માર્ગદર્શિકા આપવામાં આવશે. આ સુવિધાને કારણે દીકરીઓએ હવે માસિક દરમિયાન કોઈની પણ પર નિર્ભર રહેવું પડશે નહીં. વધુમાં, માસિક દરમિયાન થતા અસહ્ય દુખાવામાં રાહત મળે તે માટે દરેક શાળામાં 2 Electric Bags (ઠંડો-ગરમ શેક કરવા માટે) પણ આપવામાં આવશે. રાજ્યનું પ્રથમ 'પિરિયડ ક્લિનિક' આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે ગુજરાતમાં સંભવિત રીતે પ્રથમ વખત શાળાઓમાં પિરિયડ ક્લિનિક શરૂ કરવામાં આવશે. આ ક્લિનિકમાં દર મહિને નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ શાળાઓની મુલાકાત લેશે. તેઓ દીકરીઓની સ્વાસ્થ્ય સમસ્યાઓને સાંભળશે અને તેનું યોગ્ય તબીબી માર્ગદર્શન પૂરું પાડશે. આ ક્લિનિક દ્વારા માસિક સંબંધિત સામાજિક માન્યતાઓ દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. સુદ્રઢ પરિણામોની અપેક્ષા પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યાના જણાવ્યા મુજબ, આ અભિયાન દ્વારા દીકરીઓની અંગત જરૂરિયાતો અને તેમના પ્રતિભાવોનો સતત અભ્યાસ કરવામાં આવશે. કિટમાં આપવામાં આવેલી વસ્તુઓ તેમને કેટલી ઉપયોગી નીવડી અને તેમના શારીરિક પ્રશ્નોમાં શું બદલાવ આવ્યો, તેનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. વડોદરાથી શરૂ થયેલું આ અભિયાન સમગ્ર દેશ માટે એક મોડેલ સાબિત થશે, જે પુરાવા અને વિજ્ઞાનના આધારે દીકરીઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા પ્રેરિત કરશે.
વડોદરાના ભાયલી ખાતે આવેલ વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલો વધી ગયો છે કે, ભાયલી ગામના પૂર્વ સરપંચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રાવણ અવતારમાં દેખાડતું AI પોસ્ટર લઈને વિરોધ કર્યો છે. આ પોસ્ટરનો AI વીડિયો સો.મીડિયામાં પણ વાઈરલ થયો છે, જેને પગલે વડોદરામાં ભારે ચર્ચા જાગી છે. પૂર્વ સરપંચે વિરોધરૂપે ગામના છેવાડે બેનર લગાવ્યું છે અને તળાવના બ્યુટિફિકેશન વચ્ચે ગંદા પાણીના નિકાલે સવાલ ઊભા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે, તાત્કાલિક ગટર લાઈન બંધ કરી તળાવ બચાવવામાં આવે. આ મામલે દિવ્યભાસ્કરે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. વીડિયોમાં મ્યુ. કમિશનરને રાવણ બતાવીને તેમને જોર જોરથી હસતા બતાવ્યાવાયરલ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, હું અરૂણ મહેશ બાબુ વડોદરા મ્યુનિસિપલ કમિશનર... મેં ભાયલી ગામનું વિમળેશ્વર તળાવ ગંદુ બનાવવા પ્રતિજ્ઞા લીધી છે અને મેં ભાયલી ગામનું વિમળેશ્વર તળાવ માં ગટરનું મળ મૂત્ર પાણી છોડવા નું શરૂ કરી દીધું છે. કોઇની તાકાત હોઇ તો ગંદકી કરતા રોકી બતાવે ઇ... હા હા હા હા... છે કોઈ મર્દનો બચ્ચો. ઇ હા હા હા... હું કોઇ પણ કાળે સ્વચ્છ ભારત મિશન સફળ નહીં થવા દઉં.. અંધેર કાયમ રહે.. શૈતાન જિંદાબાદ... અને વીડિયોમાં મ્યુનિસિપલ કમિશનરને રાવણ બતાવીને તેમને જોર જોરથી હસતા બતાવ્યા છે. 31 ડિસેમ્બરે ટેલિફોનિક સમય માંગ્યો પણ હજુ સુધી જવાબ આપ્યો નથીભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલે જણાવ્યું હતું કે, ભાયલી ગામના વિમલેશ્વર તળાવમાં કોર્પોરેશન દ્વારા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. મેં 31 ડિસેમ્બરના રોજ કમિશનરને મળવા માટે ટેલિફોનિક સમય માંગ્યો હતો, પરંતુ તેમની ઓફિસ તરફથી કોઈ જ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ કમિશનર પાસે સામાન્ય કરદાતાઓને મળવાનો સમય નથી પરંતુ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને ગરબા જેવા કાર્યક્રમોમાં જવાનો પૂરો સમય છે. સામાન્ય જનતાની મુશ્કેલીઓ પ્રત્યે તેઓ સાવ ઉદાસીન છે. તળાવના બ્યુટિફિકેશન પાછળ 6 કરોડ ખર્ચવામાં આવ્યા છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તળાવના બ્યુટિફિકેશન પાછળ આશરે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ તેમાં ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. અધિકારીઓ માત્ર બે કલાક માટે આવે છે અને આખા દિવસનો લાખો રૂપિયાનો પગાર વસૂલે છે પણ સ્થળ પર કોઈ કામગીરી દેખાતી નથી. આખું તળાવ ગંદકીથી ભરાઈ ગયું છે. ગઈકાલે મંગળવારે અમે જ્યારે આ પોસ્ટર લગાવ્યું ત્યારે તંત્ર થોડું જાગ્યું અને મામૂલી કામગીરી કરી છે, પરંતુ તે પૂરતી નથી. ગટરનું પાણી હજુ પણ તળાવમાં જઈ રહ્યું છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો અમે આવનારા સમયમાં વધુ ઉગ્ર વિરોધ કરીશું. તેઓએ ઉમેર્યું હતું કે, અમે આ 'અહંકારી કમિશનરને ઉદ્યોગપતિઓ અને મોટા લોકો માટે સમય છે, પણ જે કરદાતાઓના પૈસાથી તંત્ર ચાલે છે, તે સામાન્ય લોકોની વાત સાંભળવા તેમની પાસે સમય નથી. અમે આ પોસ્ટર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે અને લોકોમાં પણ જાગૃતિ લાવવા માંગીએ છીએ.
શહેરના વાડજ વિસ્તારમાં ગત વર્ષે એક ગાડીમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતા ડ્રગ્સ હોવાની માહિતી આપનાર વ્યક્તિએ જ ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવી પોતાના કૌટુંબિક ભાઇને ફસાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં લાઈવ ડિટેક્ટર ટેસ્ટ પણ કર્યો હતો. હકીકત સામે આવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બાતમી આપનારે જ કારમાંથી 10 પડીકી કાઢીને પોલીસને આપીવાડજ વિસ્તારમાં રહેતા પ્રદ્યુમન લુહારે ગત વર્ષે એપ્રિલ મહિનામાં પોલીસને જાણ કરી એક ઈકો કારમાં શંકાસ્પદ પડીકી છે. જેથી વાડજ પીઆઇ સહિતનો કાફલો બાતમી વાળી જગ્યાએ પહોંચી જ્યાં ઈકો કાર હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી કંઈ મળી આવ્યું નહોતું. જેથી બાતમી આપનાર પ્રદ્યુમને જ જાતે તપાસ કરીને કારમાંથી 10 અલગ અલગ પડીકી કાઢીને પોલીસને આપી હતી. પોલીસની તપાસમાં પડીકીઓમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યુંપોલીસે તપાસ કરી તો ઈકો કારનો માલિક ગોપાલ લુહાર હતો. પોલીસે આ અંગે તપાસ કરી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ તપાસમાં આ પડીકીઓ ડ્રગ્સની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાતમી આપનાર પ્રદ્યમનની કામગીરી શંકાશીલ લાગી હતી. પોલીસે કારના માલિકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેમની કારમાં સવારથી 3 લોકો બેઠા હતા. પોલીસને બાતમીદાર અને અન્ય એક વ્યક્તિ પર શંકા ઉપજીપોલીસે કારમાં બેસેલા લોકોની તપાસ કરતા સંજય લુહાર પણ શંકાસ્પદ લાગ્યો હતો. પોલીસે સમગ્ર મામલે જાણવા જોગ નોંધ લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસને સમગ્ર કેસમાં કારમાં માલિક નિર્દોષ હોવાનું જણાતા પોલીસે બાતમી આપનાર પ્રદ્યુમન અને કારમાં બેસનાર સંજયની તપાસ શરૂ કરી હતી. બંને આરોપીના લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા પોલીસે જણાવ્યુંપોલીસ તપાસમાં સંજયે કબૂલાત કરી હતી કે, તેણે જ કારમાં પ્રદ્યુમનના કહેવાથી પડીકીઓ મુકી હતી. જોકે કોઈ પુરાવા ન હોવાથી પોલીસે બંનેને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા જણાવ્યું હતું. જેમાં સંજય તૈયાર થયો હતો પરંતુ પ્રદ્યુમન તૈયાર ન થતા પોલીસે સંજયનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સંજયે હકીકત જણાવી હતી. જે FSLમાં મોકલતા સંજયે જણાવેલી વિગત સાચી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની 8 મહિના લાંબી પ્રક્રિયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપી પ્રદ્યુમન અને સંજયની ધરપકડ કરી છે. નાનાભાઈની પત્નીના અન્ય સાથે લગ્ન કરાવતા બંને વચ્ચે વિખવાદપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રદ્યુમન અને કાર માલિક ગોપાલ બંને કૌટુંબિક ભાઈઓ છે. પ્રદ્યુમનના નાનાભાઈની પત્ની પિયર જતી રહી હતી. જેના ગોપાલે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. ત્યારથી પ્રદ્યુમન અને ગોપાલ વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે અનેક વખત બોલાચાલી પણ થઈ હતી. આ બાબતની અદાવત રાખીને ગોપાલને ખોટા NDPS કેસમાં ફસાવવા સંજય લુહારની મદદથી કારમાં પડીકી મુકાવી હતી. પૈસાની મદદ કરવાના બહાને સંજય પાસે કારમાં પડીકી મુકાવી સંજય લુહારને પડીકીમાં ડ્રગ્સ હતું તેની જાણ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સંજય લુહાર પર ચેક રિટર્ન કેસ ચાલી રહ્યો હતો. જે લડવા પૈસા નહોતા જેથી સંજયે પ્રદ્યુમનને જાણ કરી હતી. જેથી પ્રદ્યુમને સંજયને મદદ કરવાની બાહેંધરી આપી બદલામાં સંજયને માતાજીના સમ આપી ગોપાલની કારમાં પડીકી મુકાવી હતી.
British MP Attack On Donald Trump : બ્રિટિશ સાંસદ એડ ડેવીએ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીના ‘સૌથી ભ્રષ્ટ અમેરિકન પ્રમુખ’ ગણાવ્યા છે. આ મુદ્દે બ્રિટિશ સંસદમાં સંબોધન કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, ટ્રમ્પને શાંત રાખવા માટે કાં તો તેમને અબજો રૂપિયાની ભેટ આપીને લલચાવો અથવા તેમની સામે અડગ ઊભા રહો. ટ્રમ્પ એક 'બુલી' અને 'ગેંગસ્ટર' જેવા: એડ ડેવી બ્રિટિશ સંસદમાં વિદેશ સચિવ યવેટ કૂપરને સંબોધતા સાંસદ એડ ડેવીએ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ટ્રમ્પ એક ‘ઇન્ટરનેશનલ ગેંગસ્ટર’ જેવું વર્તન કરી રહ્યા છે.
ગુજરાતભરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાવાનો છે, ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનતાની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ જાણવા માટે એક વિશેષ અભિયાન ‘કોંગ્રેસ આપકે દ્વાર’ (હર ઘર કોંગ્રેસ) શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ રાજકોટના વોર્ડ નંબર 4 માંથી કરવામાં આવ્યું હતું, જે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરનો પોતાનો વિસ્તાર છે. આગામી દિવસોમાં કોંગ્રેસ તમામ 18 વોર્ડમાં મળી 54,000 લોકોના ફોર્મ ભરી તેના પ્રશ્નો જાણશે. આ અભિયાન દ્વારા સીધો જનસંપર્ક સાધી ભાજપના શાસનમાં લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે તેનો ચિત્તાર મેળવશે. બાદમાં લોકોની આ સમસ્યાઓ દૂર થાય તેવો મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે. એટલે કે કોંગ્રેસનો મેનીફેસ્ટો પરોક્ષ રીતે પ્રજા દ્વારા જ તૈયાર કરવામાં આવશે. 'પંચાયત અને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી ભાજપનું શાસન'રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં નગરપાલિકાથી લઈને પંચાયત અને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી ભાજપનું શાસન છે, પરંતુ ભ્રષ્ટ શાસન લોકોની વેદના ભૂલી ગયું છે. મહાનગરપાલિકાના શાસકો પ્રજાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ હવેથી લોકોના દ્વાર સુધી પહોંચશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો પોતાના વિસ્તારમાં કઈ સુવિધાઓથી વંચિત છે અને તેઓ પોતાના સપનાનું રાજકોટ કેવું ઈચ્છે છે તે જાણી શકાય. લોકો પાસેથી જે પ્રતિભાવો મળશે, તેના આધારે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરશે. એટલે કે, આ વખતે કોંગ્રેસનો મેનિફેસ્ટો એ ખરા અર્થમાં ‘પ્રજાનો મેનિફેસ્ટો’ બની રહેશે. દરેક વોર્ડમાં આશરે 3,000 ફોર્મ ભરાવવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું કે, અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દરેક વોર્ડમાં જશે અને લોકોની ફરિયાદો તેમજ સૂચનો મેળવવા માટે એક ફોર્મ ભરાવશે. આયોજન મુજબ, દરેક વોર્ડમાં આશરે 3,000 ફોર્મ ભરાવવામાં આવશે. આમ, સમગ્ર રાજકોટનાં 18 વોર્ડમાંથી અંદાજે 54,000 પરિવારોનો સીધો સંપર્ક કરી તેમની વેદનાઓને વાચા આપવામાં આવશે. આ ફોર્મમાં મોંઘવારી, બેરોજગારી, પાણીની અછત, તૂટેલા રસ્તા, ડ્રેનેજની સમસ્યા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો અંગે જનતાનો અભિપ્રાય લેવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના આગેવાનો-કાર્યકરોએ હાજર રહ્યાં કોંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવતા આ અભિયાનની શરૂઆત વોર્ડ નંબર 4થી કરી છે. આ એ જ વિસ્તાર છે જ્યાંથી રાજકોટના મેયર પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસનું માનવું છે કે જો મેયરના પોતાના જ વિસ્તારમાં લોકો પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા હોય, તો સમગ્ર શહેરની સ્થિતિ શું હશે તે સમજી શકાય છે. આજના અભિયાન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિત વોર્ડ પ્રમુખ પરેશ પરમાર સહિતના અનેક આગેવાનો અને કાર્યકરોએ હાજર રહ્યા હતા. તેમજ અંદાજે 3,000 લોકોના ફોર્મ ભરાવી તેની સમસ્યાઓ સાંભળી હતી. ઉલ્લેખનીય છે કે, મેનીફેસ્ટો ઉપરાંત આ જનસંપર્ક દરમિયાન મળેલી ફરિયાદો અને સૂચનોના આધારે કોંગ્રેસ આગામી દિવસોમાં મ્યુ. કોર્પોરેશનના સંબંધિત વિભાગો સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરશે. જો પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે, તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપશે. ‘જનતાની વેદના – કોંગ્રેસની જવાબદારી’ ના નારા સાથે શરૂ થયેલા કોંગ્રેસના આ અભિયાને હાલમાં રાજકોટના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં CGST વિભાગ દ્વારા સોની વેપારીઓ સામે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટેક્સચોરીની આશંકાએ શહેરની ત્રણ જાણીતી સોની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે. જેથી વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. ત્રણ પેઢીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈપ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ સ્થિત પરશુરામ દયારામ જવેલર્સના શોરૂમ પર CGST વિભાગની ટીમે વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, શહેરની જાણીતી પેઢી શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ કાર્યવાહી ચાલી રહી છે. હિસાબી દસ્તાવેજો, બિલ-બુક સહિતની ચકાસણીઆ સમગ્ર કાર્યવાહી CGST જૂનાગઢ ડિવિઝનની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સર્ચ દરમિયાન વેપારી પેઢીઓના હિસાબી દસ્તાવેજો, બિલ-બુક, કમ્પ્યુટર ડેટા અને GST સંબંધિત રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. વેરાવળના જવેલર્સ માર્કેટમાં હલચલ જોવા મળીGSTના દરોડાની જાણ થતાં જ વેરાવળના જવેલર્સ માર્કેટમાં હલચલ જોવા મળી હતી. ઘણા વેપારીઓએ પોતાના શોરૂમ બંધ કરી દીધા હતા, જેના કારણે બજાર વિસ્તારમાં અસામાન્ય શાંતિ છવાઈ ગઈ હતી. આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ભય અને ચિંતાનો માહોલ છે. કેટલાય કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલવાની શક્યતાહાલમાં CGST વિભાગ દ્વારા તપાસ ચાલુ છે અને કેટલાય કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલવાની શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કરચોરીનું કેટલું પ્રકરણ બહાર આવશે તે અંગે સ્પષ્ટતા થશે. CGST વિભાગ તરફથી અધિકૃત રીતે હજુ સુધી કોઈ આંકડા કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસના અંતે વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે.
સૌરાષ્ટ્રમાં વીરપુરથી આગળ કાગવડ ગામ પાસે લેઉવા પટેલ સમાજના કરદેવી મા ખોડલનું ભવ્યાતિભવ્ય મંદિર બન્યું-ખોડલધામ. સમય જતાં આસ્થાના આ હવનમાં સમય જતાં રાજકારણનું ઘી હોમાતું રહ્યું. ગુજરાતની ચૂંટણી આવે એટલે ખોડલધામ અને નરેશ પટેલ આપોઆપ ચર્ચામાં આવી જાય. એનું કારણ છે- લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી વોટબેન્ક. ત્રણ વર્ષ પહેલાં અનાર પટેલને ખોડલધામનાં ટ્રસ્ટી બનાવાયાં હતાં. હવે સંગઠનના અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. એવું મનાય છે કે આની પાછળ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ચોક્કસ ચાર સ્ટ્રેટેજી છે. પહેલી સ્ટ્રેટેજી એ કે સંગઠનનાં અધ્યક્ષ તરીકે મહિલા હોય તો આખા ગુજરાતમાં ખોડલધામનું સંગઠન મજબૂત બને. બીજી સ્ટ્રેટેજી એ છે કે આવનારા મહિનાઓમાં પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ આવવાની છે તેમાં આ સંગઠનનો હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે. ત્રીજું, 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામનો હાથ ઉપર રહી શકે. ચોથી સ્ટ્રેટેજી એ છે કે ગુજરાતની ગાદીએ લેઉવા પટેલ મુખ્યમંત્રી હોવા જોઈએ, તેવી માગણી નરેશ પટેલ કરતા આવ્યા છે. કદાચ આ ગાદી સુધી અનાર પટેલને પહોંચાડવા તખ્તો ઘડાઈ રહ્યો હોવાની પણ ચર્ચા છે. અનાર પટેલની સમાજકારણમાંથી રાજકારણ તરફ ગતિખોડલધામના જ આંતરિક સૂત્રોએ નામ ન આપવાની શરતે અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ બનાવવા પાછળની સ્ટ્રેટેજી જણાવી હતી. સૂત્રોએ કહ્યું કે, ખોડલધામ અત્યાર સુધી સૌરાષ્ટ્ર સેન્ટ્રીક બનીને રહી ગયું હતું. ખોડલધામનું સંગઠન સૌરાષ્ટ્રમાં મજબૂત છે પણ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં વધારે મજબૂત બનાવવા માટે ચોક્કસ ચહેરાની જરૂર હતી. આના માટે અનાર પટેલ ઉચિત નામ હતું. અનાર પટેલ પોતે સામાજિક રીતે જાણીતું નામ છે. તેમનાં માતા આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. આનંદીબેનનું કદ ભાજપમાં બહુ મોટું છે. તેનો ફાયદો પણ ખોડલધામને મળી શકે. અન્ય એક સૂત્રએ કહ્યું કે, ખોડલધામમાં અનાર પટેલને સંગઠનમાં અધ્યક્ષ બનાવવાથી રાજકીય ગરમાવો પણ આવશે. એક પ્રકારે એને રાજકારણમાં એન્ટ્રીની જ જાહેરાત કહી શકાય. આ કિસ્સામાં બંને તરફ ફાયદો થશે. લેઉવા પટેલ સમાજને પણ ફાયદો થશે અને અનાર પટેલને પણ ફાયદો થશે તેવી વાત જાણવા મળી રહી છે. આગામી દિવસોમાં લેઉવા પટેલ એક થઈને અનાર પટેલને સ્વીકારે તો 2027ની ચૂંટણીમાં અનાર પટેલની સત્તાવાર એન્ટ્રી થાય તો પણ નવાઈ નહીં. હાલ તેના બીજ રોપાઈ ગયા તેવું ચોક્કસપણે કહી શકાય. આમ જોઈએ તો ખાનગીમાં જાહેર જેવી વાત છે નરેશ પટેલ અને આનંદીબેન ને વર્ષોથી અંગત પારિવારિક સંબંધો રહ્યા છે અને ખોડલધામ એવું પ્લેટફોર્મ છે કે જે રાજકારણમાં સીધી એન્ટ્રી લઈ શકો તમે અને સમાજનો ટેકો પણ મળે. હાલ અનાર પટેલને ખોડલધામમાં મોટા હોદા પર બિરાજમાન કરી એક રીતે આગામી દિવસોમાં ગુજરાત લેવલે મોટો ચહેરો તૈયાર કરવાની પણ આ એક રણનીતિ કરી શકાય. અનાર પટેલ ત્રણ વર્ષ પહેલાં ખોડલધામના ટ્રસ્ટી બન્યાં હતાંગુજરાતમાં પાટીદાર સમાજની તાકાત કોઈનાથી છુપી નથી. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે ત્રણ વર્ષ પહેલાં જ ખોડલધામ ટ્રસ્ટમાં પ્રવેશ કરી લીધો હતો. તેમની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા હતી, પરંતુ તેમણે ચૂંટણી લડી નહોતી. વિધાનસભાની ચૂંટણી બાદ ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની એન્ટ્રી થઈ રહી છે. જેને ગુજરાતના રાજકારણમાં એક મોટાં પગલાં તરીકે જોવામાં આવે છે. અનાર પટેલ ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ બનવાથી નરેશ પટેલ અને જયેશ રાદડિયાની તકરારને ક્યાંક હવે બ્રેક લાગશે.જાહેરમાં હવે શાબ્દિક યુદ્ધ ને વિરામ મળે તો નવાઈ નહિ.જયેશ રાદડિયા કદ હવે સાવ મર્યાદિત થઈ જાય તો પણ નવાઈ નહિ. ભાજપ હવે ખોડલધામ તરફ ઝુકાવ રાખે એવું પણ બને કેમકે લેઉવા પટેલની વોટ બેન્ક મજબૂત છે.હાલ પણ ખોડલધામના નામનો લાકડિયો તાર ચૂંટણી સમયે ફરતો હોય છે મોટો આધાર તેના પર હોય છે. અનાર પટેલને મોટું પદ મળતાં નરેશ પટેલનું કદ હજી ઊંચું થશે. અનાર પટેલને આનંદી પટેલના સમર્થકોનો મજબૂત ટેકો મળશે.જેનો ફાયદો આવનારી ચૂંટણીમાં જોવા મળશે. 21 જાન્યુઆરીએ જ નવી જાહેરાતથી ખોડલધામમાં હલચલખોડલધામ મંદિરનો શિલાન્યાસ થયો ત્યારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી તમામ મહત્વના કાર્યક્રમો 21 જાન્યુઆરીએ જ થયા છે. ખોડલધામના આંગણે કૃષિમેળો હોય, સમૂહ લગ્ન હોય કે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય. તમામ કાર્યક્રમો 21 જાન્યુઆરીએ જ થયા છે. આ પરંપરા જાળવીને નરેશ પટેલ દ્વારા ખોડલધામના આંગણે 21 જાન્યુઆરીએ કોઈને કોઈ આયોજન થાય છે. આ વખતે કન્વીનર મીટ રાખી હતી અને તેમાં અનારબેનનાના નામની જાહેરાત કરવામાં આવી હતી. 21 જાન્યુઆરીના જ દિવસે ખોડલધામ સંગઠન અધ્યક્ષ તરીકે જાહેરાત થતાં ખોડલધામના ટ્રસ્ટીગણો અને કાર્યકર્તાઓમાં પણ હલચલ મચી ગઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ બની રહ્યું છે ખોડલધામ મંદિરસૌરાષ્ટ્રના કાગવડમાં ખોડલધામનું નિર્માણ થયું હવે ખોડલધામ આખા ગુજરાતમાં વિસ્તાર કરે છે. હાલમાં મહેસાણા-પાટણ નજીક સંડેર ગામ પાસે ખોડલ માતાનું નવું મંદિર બની રહ્યું છે. ગાય વર્ષે તેની શિલાન્યાસ વિધિ થઈ હતી, હાલમાં કામ ચાલી રહ્યું છે. આનંદીબેન પટેલ, અનાર પટેલ પણ ઉત્તર ગુજરાતના છે એટલે ખોડલધામ હવે સૌરાષ્ટ્ર પૂરતું સિમિત ન રહીને અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર કરી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટીઓ ચૂંટણી લડી ચૂક્યા છેઅગાઉ પણ ખોડલધામમાંથી અનેક ટ્રસ્ટી ચૂંટણી લડી ચૂક્યા છે એટલે એવું છે જ નહીં કે રાજકરણ સાથે કોઈ સંબંધ નથી. રાજકોટના ધારાસભ્ય પદ માટે રમેશ ટીલાળાને ભાજપની ટિકિટ અપાવવા ખોલધામનો જ પ્રયાસ હતો અને જીત્યા પણ ખરા. એ પહેલાં કોંગ્રેસમાંથી દિનેશ ચોવટિયા લડ્યા હતા એ ખોડલધામ જ હતા જો કે તેની હાર થઈ હતી. એમ તો રવિ આંબલિયા, ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી) જેવા ટ્રસ્ટીઓ ચૂંટણી લડી ચૂક્યા છે પણ તેમની હાર થઈ છે. નરેશ પટેલ હમેશાં ચૂંટણી સમયે બધા પક્ષ સાથે ખોડલધામમાં બંધ બારણે મિટિંગ કરતા જ હોય છે અને વિવાદો પણ થયા છે. મૂળ તો કોંગ્રેસ વિચારધારા ધરાવતા નરેશ પટેલ કોઈ પાર્ટી ને નારાજ કરતા નથી પણ હાલ તેનો ઝુકાવ સત્તાધારી પક્ષ ભાજપ તરફી જોવા મળતો હોવ તેવું રાજકીય લોકો કહી રહ્યા છે. કોણ છે અનાર પટેલ?અનાર પટેલ છેલ્લા 34 વર્ષથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. અનાર પટેલની ઓળખ સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે થાય છે. તેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, પરંતુ તેઓ લાંબા સમયથી મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ જાણીતાં સમાજસેવિકા, માનવ સાધના ટ્રસ્ટના સહ-સ્થાપિકા છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલનાં પુત્રવધૂ છે. B.Sc. અને MBA (નિરમા યુનિવર્સિટી) કર્યું છે. તેઓએ કુટુંબના સહયોગથી માનવ સાધના ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે 7000થી વધુ લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડી રહ્યું છે. હસ્તકલા અને મહિલા સશક્તિકરણ માટે ગ્રામશ્રી અને ક્રાફ્ટરુટ્સની સ્થાપના કરી, જે અત્યાર સુધીમાં દેશના 21 રાજ્યોના 35000થી વધુ કારીગરોને રોજગારી આપી ચૂક્યું છે.
વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી મુંબઈ તરફ મુસાફરી કરતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. ટ્રેનોમાં વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, યાત્રાળુઓની માંગ અને તહેવારો તેમજ રજાના સમયગાળામાં મુસાફરીનું વધતું દબાણ ઘટાડવા માટે આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આનાથી મુસાફરોને આરામદાયક અને સરળ મુસાફરી મળી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09017/09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે ટ્રેન નંબર 09017 (બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ) 25 જાન્યુઆરી, 2026થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14.40 કલાકે પ્રસ્થાન કરશે. તે બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરી, 01 ફેબ્રુઆરી, 08 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09018 (વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ) 26 જાન્યુઆરી, 2026થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે વેરાવળથી સવારે 11.05 કલાકે પ્રસ્થાન કરશે. તે બીજા દિવસે પ્રાતઃ 04.55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરી, 02 ફેબ્રુઆરી, 09 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી, 2026ના રોજ દોડશે. આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. આનાથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મુસાફરોને પણ સીધી સુવિધા મળશે. મુસાફરોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09017 અને 09018 માટે ટિકિટોનું બુકિંગ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)થી શરૂ થશે. મુસાફરો યાત્રી આરક્ષણ કેન્દ્રો ઉપરાંત IRCTCની વેબસાઇટ મારફતે પણ ટિકિટ બુક કરાવી શકશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની રચના સંબંધિત વધુ વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી વેરાવળ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુંબઈ તરફની મુસાફરી માટે મોટી રાહત મળશે અને રેલવે પરનો ભાર પણ ઘટશે.
યાત્રાધામ દ્વારકામાં વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને સૂચિત એરપોર્ટ પ્રોજેક્ટ મૂકાયો છે. વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામોની અંદાજે 800 એકર જમીન પર વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોએ બાંયો ચડાવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી સર્વેની કામગીરીને ખેડૂતોએ 'બળજબરી' ગણાવી આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દ્વારકાના પ્રાંત અધિકારી, અમોલ આવટે જણાવ્યું હતું કે, વસઈ અને આસપાસના ગામોના ખેડૂતોએ આજે અમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. હાલમાં અમે માત્ર સરકારના આદેશ મુજબ જમીનની ભૌગોલિક પરિસ્થિતિનું પ્રાથમિક નિરીક્ષણ કરી રહ્યા છીએ. આ અંગેનો વિગતવાર રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે. ફળદ્રુપ જમીન અને રોજગારી છીનવાવાનો ભયસ્થાનિક ખેડૂતોના મતે, વસઈ અને તેની આસપાસના વિસ્તારોની જમીન અત્યંત ફળદ્રુપ છે અને અહીં મીઠા પાણીની સારી સુવિધા છે. દ્વારકા તાલુકાની ખેતી અને પશુપાલન મોટાભાગે આ પટ્ટા પર નિર્ભર છે. ખેડૂતોએ ભય વ્યક્ત કર્યો છે કે જો આ 800 એકર જમીન સંપાદિત કરવામાં આવશે, તો હજારો ખેડૂત પરિવારો બેરોજગાર થઈ જશે અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે થતા ખેડૂતોમાં નારાજગીસોમવારે જ્યારે દ્વારકા પ્રાંત અધિકારી, મામલતદાર અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ અગાઉ સરપંચને મીટિંગ માટે જાણ કરી હતી. ખેડૂતો મીટિંગની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તંત્રએ તેમની ગેરહાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે સીધો ખેતરોમાં સર્વે શરૂ કરી દીધો. કોઈપણ પૂર્વ મંજૂરી વિના ખેતરોમાં પ્રવેશ કરવો એ લોકશાહી વિરોધી છે. રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યુંઆજે ચારેય ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિકાસ કે એરપોર્ટના વિરોધી નથી, પરંતુ એરપોર્ટ આ ફળદ્રુપ જમીનને બદલે દ્વારકાની આસપાસ આવેલી અન્ય બિન-ઉપજાઉ કે પડતર જમીન પર બનાવવામાં આવે. જો સરકાર આ મામલે યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં સંગઠિત થઈને કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
પોરબંદર ડોમિનોઝ પિઝામાં તોડફોડ:30,000નું નુકસાન, બે આરોપીઓ સામે ગુનો નોંધાયો
પોરબંદરના ડોમિનોઝ પિઝા આઉટલેટમાં તોડફોડ અને ધમકીનો બનાવ બન્યો છે. વિજય હાજાભાઈ મોકરીયા અને તેમની પત્ની મંજુબેન મોકરીયાએ મેનેજર ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. આરોપીઓએ મેનેજરને ધમકાવી પૂછ્યું હતું કે, તમે મારા પતિ વિજયના દારૂ અંગે પોલીસને કેમ જાણ કરી તેને પકડાવ્યા? આ મનદુઃખને કારણે તેઓ ઉગ્ર બન્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે મેનેજર ઓફિસમાં કોમ્પ્યુટરનું માઉસ ખેંચી તોડી નાખ્યું. સીસીટીવી કેમેરા પણ ખેંચી નીચે પછાડી તોડી નાખ્યા. મેનેજરના બંને કોમ્પ્યુટર ટેબલ પર પછાડી નુકસાન પહોંચાડ્યું હતું. આ તોડફોડને કારણે ડોમિનોઝ પિઝાને આશરે રૂ. ૩૦,૦૦૦/- નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના સમયે ગ્રાહકો અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે, પોલીસે વિજય હાજાભાઈ મોકરીયા અને મંજુબેન મોકરીયા સામે ધમકી, ગાળાગાળી, તોડફોડ અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ધસારાને પહોંચી વળવા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝન થઈને પસાર થશે, જે સૌરાષ્ટ્રના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રેનનું સમયપત્રક અને ફેરા ટ્રેન નંબર 09018 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 January, 2026 થી 23 February, 2026 સુધી દર સોમવારે દોડશે. આ ટ્રેન વેરાવળથી 11.05 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 04.55 કલાકે બાંદ્રા પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ 25 January, 2026 થી 22 February, 2026 સુધી દર રવિવારે બપોરે 14.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. મુખ્ય સ્ટોપેજ અને કોચની વ્યવસ્થા આ ટ્રેન મુસાફરો માટે કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંક્શન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાણ કરશે. ટ્રેનમાં સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર અને જનરલ ક્લાસના કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. બુકિંગની વિગતો આ સ્પેશિયલ ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ 22 January, 2026 થી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. ત્યારબાદ એટલે કે 23થી 24 જાન્યુઆરી દરમિયાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 25 જાન્યુઆરી બાદ ઠંડી ઘટશે25 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં વધારો થતા ઠંડીનું જોર ઘટશે. અત્યારે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. વાદળછાયું રહેવાની આગાહી અમદાવાદ શહેરમાં આજે હવામાન વાદળછાયું રહેવાની આગાહી કરવામાં આવી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાવાની શક્યતા છે. શહેરમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. સાથે જ, તડકાની તીવ્રતા ઓછી રહેશે. આવતીકાલે મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જાણો ક્યાં કેટલી ઠંડી પડીઅમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 16.2 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 15 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 13 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 15.7 ડીગ્રી સેલ્સિયસ દ્વારકામાં 18 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 19.6 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 12.3 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 17.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સોના અને ચાંદી બાદ હવે બજારમાં એક નવું રોકાણ વિકલ્પ ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે અને તે છે કોપર. છેલ્લા એક વર્ષમાં કોપરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન હવે આ મેટલ તરફ વળ્યું છે. એક વર્ષમાં કોપરના ભાવમાં લગભગ 40થી 50 ટકાનો વધારો થયોદેશમાં સોનાં અને ચાંદીની જેમ હવે કોપરની માંગમાં પણ ભારે વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ચાંદીના વધતા ભાવને કારણે સામાન્ય લોકો, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ માટે તેમાં રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે. આવી સ્થિતિમાં ઓછા બજેટમાં રોકાણ કરવા માટે લોકો હવે કોપરને એક સારો વિકલ્પ માની રહ્યા છે. MCX પર છેલ્લા એક વર્ષમાં કોપરના ભાવમાં લગભગ 40થી 50 ટકાનો વધારો થયો છે. અગાઉ 800થી 900 રૂપિયા પ્રતિ કિલો રહેલો કોપરનો ભાવ હવે 1200થી 1300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જ્યારે બુલિયન ગ્રેડ કોપર હાલ બજારમાં 2100થી 2500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. દેશભરમાં રોજે રોજ 2થી 3 ટન કોપરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યુંમાત્ર અમદાવાદ શહેરમાં જ છેલ્લા એક સપ્તાહ દરમિયાન 300થી 400 કિલો કોપરનું વેચાણ થયું છે. જ્યારે સમગ્ર દેશભરમાં રોજે રોજ 2થી 3 ટન કોપરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. હાલમાં ચાંદીનો ભાવ 100 ગ્રામ માટે 32થી 33 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય રોકાણકારો માટે ચાંદી ખરીદવી મુશ્કેલ બની છે. પરિણામે હવે કોપર ચાંદીના વિકલ્પ તરીકે ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. વધતી માંગના કારણે કોપરના ભાવમાં હજી વધારો થવાની શક્યતા બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં કોપર પણ સોનાં અને ચાંદીની જેમ એક મહત્વપૂર્ણ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ મેટલ બની શકે છે. ભવિષ્યમાં જ્વેલર્સ અને બુલિયન માર્કેટમાં 100 ગ્રામથી લઈને 5 કિલો સુધીના કોપર બાર ઉપલબ્ધ થવાની શક્યતા છે. સાથે-સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ તેની ખરીદી સરળ બનશે. AI સેન્ટર, ડેટા સેન્ટર અને ટેકનોલોજી ડેવલપમેન્ટમાં કોપરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી ઔદ્યોગિક માંગ પણ સતત વધી રહી છે. આ વધતી માંગના કારણે આવનારા સમયમાં કોપરના ભાવમાં હજી વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, કોપરને લાંબા ગાળાના રોકાણ તરીકે પસંદ કરતા પહેલા તેની યોગ્ય સ્ટોરેજ, સિક્યુરિટી અને સાચવવાની રીત અંગે સાવચેતી જરૂરી હોવાનું નિષ્ણાતો જણાવે છે. યોગ્ય વ્યવસ્થા સાથે કોપર લાંબા ગાળાના રોકાણ માટે એક સારો વિકલ્પ બની શકે છે. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો તાંબા તરફ વળ્યાસોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે તાંબાની માંગમાં ઉછાળો થતાં દિવ્ય ભાસ્કરે નિશાંત ધોળકિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા, હવે લોકો તાંબા તરફ વળ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓમાં તાંબાની માંગ વધી છે. ગત વર્ષે તાંબામાં 30 થી 35% જેટલું રિટર્ન મળ્યું છે. ભાવ તુલનાની વાત કરીએ તો, ચાંદી: આશરે 3,30,000 પ્રતિ કિલો સોનું: આશરે 1.60 કરોડ પ્રતિ કિલો તાંબુ: માત્ર 2,000 થી 2,500 પ્રતિ કિલો તેના ઉત્પાદન વિશે તેઓએ જણાવ્યું હતું કે, તાંબું સોના કરતા ઓછા તાપમાને (1060C) ઓગળે છે. જોકે, તે સોના-ચાંદી કરતા વધુ જગ્યા રોકે છે, જે સંગ્રહ માટે પડકારરૂપ બની શકે છે. ચાંદીની જેમ તાંબુ પણ જલ્દી ઓક્સિડાઈઝ થઈને કાળું કે લીલાશ પડતું થઈ જાય છે. તેને સુરક્ષિત રાખવા માટે હવાચુસ્ત પ્લાસ્ટિકની થેલીમાં રાખવું જોઈએ. નિશાંતભાઈના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં તાંબાની માંગ હજુ વધશે. અત્યારે અમુક જ જ્વેલર્સ અને બુલિયન વેપારીઓ તાંબુ વેચી રહ્યા છે પણ ટૂંક સમયમાં લગભગ તમામ વેપારીઓ આ વ્યવસાયમાં જોડાશે એવી શક્યતા છે.
PM ઈ-બસ સેવાના પ્રારંભ પૂર્વે તંત્ર એક્શનમાં:ગંગાજળીયા તળાવ વિસ્તારમાંથી જર્જરિત બિલ્ડીંગ ઉતાર્યું
ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત કુલ 17 રૂટો પર બસો દોડવાની તૈયારીઓ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવ વિસ્તાર જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી છે તેમજ આસપાસ વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આગામી સમયમાં બીજા રુટ પર દબાણો હટાવવામાં આવશે, આગામી દિવસો પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેના ભાગરૂપે આગામી સમયમાં અંદાજે 40 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી રહી છે જેના કારણે કોઈ જાનહાનિ ન થાય, તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવશે, દબાણ હટાવવાની ટીમ જ્યાં પણ જશે ત્યાં જો રિક્ષાઓ કે અન્ય વાહનો અડચણરૂપ જણાશે, તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત, કાયમી ધોરણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને પણ આ કામગીરીમાં સામેલ કરવા માટે લેખિત જાણ કરવામાં આવશે, દબાણ હટાવ સેલ ના અધિકારી સુરેન્દ્રસિંહ રાણા એ જણાવ્યું હતું કે, આજરોજ સતત બીજા દિવસે પણ જે પી.એમ. ઈ-બસ સેવા શરૂ થવાની છે, એના રૂટમાં દબાણો દૂર કરેલ છે સાથે જ જે જૂનું બિલ્ડીંગ હતું જર્જરિત, જે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું છે સીટી બસ સ્ટેન્ડ તેને જર્જરિત હાલતમાં હોય, ભયમુક્ત કરવા માટે આજે એને ડિમોલેશન કરેલું છે, જેથી કરીને બસો શરૂ થાય ત્યારે કોઈ જાનહાનિ ન થાય અને રાહદારીઓ સરળતાથી અવરજવર કરી શકે
પોરબંદરમાં જમીન છેતરપિંડી કેસમાં ત્રણ આરોપી ઝડપાયા:વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજથી જમીન દીધી હતી
પોરબંદર શહેરમાં જમીન છેતરપિંડીના એક ગંભીર કેસમાં ઉદ્યોગનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદીના પતિની જમીન પરત અપાવવાનું કહી વિશ્વાસ કેળવી, ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચી નાખવાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ગુનાહિત કાવતરું વર્ષ 2013 થી 2017 દરમિયાન રચવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીના પતિની જમીન તેમના કુટુંબી ભાઈઓ પાસેથી પરત અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને તે જમીનનો કબજો ખાલી કરાવ્યો હતો. ત્યારબાદ, જમીન સંબંધિત ખોટા દસ્તાવેજો તૈયાર કરીને તે જમીન ત્રીજા પક્ષકારને વેચી દીધી હતી. આ રીતે ફરિયાદી અને તેમના પતિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં લાખા અરજનભાઈ કેશવાલા (ઉંમર 58, ધંધો ખેતી, રહે. પાલખડા ગામ, વિસાવાડા, પોરબંદર), દિલીપભાઈ હરભમભાઈ રાણાવાયા (ધંધો વેપાર, રહે. જનકપુરી સોસાયટી, કમલાબાગ પાછળ, પોરબંદર) અને ઇબ્રાહીમ અબુભાઈ લાખા (ઉંમર 55, ધંધો ખેતી તથા જમીન-મકાન લે-વેચ, રહે. ખાપટ, સરકારી કર્મચારી સોસાયટી પાસે, પોરબંદર)નો સમાવેશ થાય છે. તેમની ધરપકડ 20 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. તેમની ધરપકડ માટે સઘન કાર્યવાહી ચાલુ છે. સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

24 C