SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીનું ફાર્મ જમીનદોસ્ત:12 હજાર ફૂટમાં ફેલાયેલું ગેરકાયદે દબાણ દૂર કરાયું

જામનગરમાં ગુજસીટોકના આરોપી અલ્તાફ ખફી અને તેની ગેંગ પર વહીવટી તંત્રએ તવાઈ કરી છે. શહેરના ટિટોડી વાડી અને બંગલા વાડી વિસ્તારમાં આવેલા આશરે 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા તેના ગેરકાયદે ફાર્મ હાઉસને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આશરે 12,000 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ દબાણ અલ્તાફ ખફી અને તેની ગેંગના સાગરીતો દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DYSP જયવીરસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપી હતી. જામનગરમાં ભૂમાફિયાઓ અને ગુનાહિત તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. અલ્તાફ ખફી શહેરના વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો આરોપી છે. વહીવટી તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની સૂચના અપાતા, શરૂઆતમાં દબાણ કરનારાઓ દ્વારા જ તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, બાદમાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડીને જમીન ખુલ્લી કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:26 pm

મહેસાણામાં હોસ્પિટલના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી:લાઘણજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો, CCTVના આધારે આરોપીની શોધખોળ શરૂ

મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાંથી ધોળા દિવસે એક મહિલાના એક્ટિવા વાહનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 20 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના અંગે પીડિત મહિલાએ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હોસ્પિટલના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરીમળતી માહિતી મુજબ, ગોઝારીયાની શ્રીરામ સોસાયટીમાં રહેતા અને મૂળ ડાભલા (તા. વિજાપુર)ના વતની સુરેખાબા હર્ષદકુમાર ચાવડાએ પોતાનું એક્ટિવા (નંબર: જીજે-02-સીએમ-0863) 20 એપ્રિલના રોજ સવારથી બપોરના સમય દરમિયાન હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. કોઈ અજાણ્યા તસ્કરો અંદાજે ₹25,000ની કિંમતનું આ વાહન ચોરીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂવાહન ન જણાતા સુરેખાબાએ આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીની સમગ્ર ઘટના તેમાં કેદ થયેલી જોવા મળી હતી. લાઘણજ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ આ ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:22 pm

પાલડીમાં મોબાઇલ સ્ટોર મેનેજરે 6 લાખની છેતરપિંડી આચરી:મોબાઈલ-એસેસરીઝના વેચાણની રકમ કંપનીમાં જમા કરવાને બદલે પોતાના પાસે રાખી, કંપનીના ઓડિટ રિપોર્ટમાં હકીકત સામે આવી

અમદાવાદના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવેલી પુજારા ટેલિકોમના સ્ટોર મેનેજરે મોબાઈલ અને એસેસરીઝના વેચાણની રકમ કંપનીમાં જમા ન કરાવી ₹6.24 લાખની છેતરપિંડી આચરી છે. કંપનીના આંતરિક ઓડિટમાં આ નાણાકીય ગેરરીતિ બહાર આવતા પાલડી પોલીસે આરોપી મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓડિટમાં ભોપાળું છતું થયુંગોતામાં રહેતા અને પુજારા ટેલિકોમમાં ફાઈનાન્સ હેડ તરીકે કાર્યરત મુકેશ વૈષ્ણવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, જાન્યુઆરી મહિનામાં પાલડી-ભઠ્ઠા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ₹4.91 લાખના વેચાણના બિલો ફાટ્યા હોવા છતાં તેની રકમ કંપનીના સત્તાવાર ખાતામાં જમા થઈ નહોતી. વધુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ છેતરપિંડીનો કુલ આંકડો ₹6.24 લાખ સુધી પહોંચ્યો હતો. 12 વર્ષ જૂના વિશ્વાસુ કર્મચારીએ જ દગો દીધોઆ છેતરપિંડીમાં મુખ્ય આરોપી તરીકે સ્ટોર મેનેજર વરૂણ ગજેરા (રહે. મણીનગર, મૂળ જુનાગઢ) નું નામ સામે આવ્યું છે. વરૂણ છેલ્લા 12 વર્ષથી કંપની સાથે જોડાયેલો હતો. તેણે મોબાઈલ ફોન, ટેબલેટ અને અન્ય એસેસરીઝ ગ્રાહકોને વેચ્યા બાદ તે રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે પોતાની પાસે રાખી લીધી હતી. જ્યારે કંપનીએ આ અંગે સ્પષ્ટતા માંગી ત્યારે તેણે વિવિધ બહાના બતાવી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વરૂણ ગજેરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલકંપનીના સંચાલકોને છેતરપિંડીની ખાતરી થતા તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વરૂણ ગજેરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની અને નાણાં રિકવર કરવાની દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:18 pm

વડગામમાં કોંગ્રેસની સભા, જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા:કહ્યું- ખેતીના ઓઝારો, પેટ્રોલ-ડીઝલ, તેલ, ગેસનો બાટલો તમામ વસ્તું મોંઘી થઈ

બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે આજે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સભા યોજી હતી. આ સભામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી હતી. જિગ્નેશ મેવાણીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે, 'દેવશી ભાટીનો ગુલાલ ઉડાડો અને ડંકાની ચોટ ઉપર જી.આર. ચૌધરી (ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌધરી)ને જીતાડો. અમે તેમને મોટા કરીને મોકલીશું.' તેમણે કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા પર ભાર મૂક્યો હતો. જાહેર સભાને સંબોધતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, મોંઘવારી એની ચરમસીમા પર છે. ખેતીના ઓજાર, જંતુનાશક દવાઓ, બિયારણ, ખાતર, પેટ્રોલ, ડીઝલ, તેલનો, ગેસનો બાટલો, બાળકોની ફી, એમનું ભણતર તમામ મોંઘુ થયું છે. સાજા-માદા થયા હોય, કોઈ પ્રેગ્નન્ટ બેન પાલનપુર જઈને ડિલિવરી કરાવે, તો ડોક્ટરો કાતર લઈને બેઠા જ છે. 50,000 મૂકો અને બાળક લઈને જાઓ. આટલી ભયંકર મોંઘવારીની પરિસ્થિતિ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. મતદારોને આકર્ષવા માટે મોટા નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે અને સભાઓનો દોર ચાલી રહ્યો છે. નગાણા ગામે યોજાયેલી આ સભામાં કોંગ્રેસના તમામ ઉમેદવારો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર વેગ પકડી રહ્યો છે, ત્યારે મતદારો કોના પક્ષે પોતાનો નિર્ણય આપે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:18 pm

એમ.સી.શાહ કોલેજમાં ABVP અને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન:ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને સુવિધા ન અપાતી હોવાનો આક્ષેપ, જીમખાનું અને સ્પોર્ટ્સ રૂમનો ઉપયોગ કરવા મંજૂરી આપવા માંગ

એમ.સી.શાહ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોલેજમાં સ્પોર્ટ્સ રૂમ અને જીમખાનું હોવા છતાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ન આવતી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો છે તેમજ વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પડતી હાલાકીને દૂર કરવા માટે માંગ કરી છે. તેમજ જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો ABVPએ આક્ષેપ કર્યોએમ. સી. શાહ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો છે. કોલેજમાં સ્પોર્ટ્સ રૂમ માટે જીમખાના હોવા છતાં વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે તેમજ કેન્ટીન કોલેજના સમય દરમિયાન ખુલ્લી રાખવામાં ન આવતી હોવાનો પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાની ફી લેવામાં આવતી હોવા છતાં યોગ્ય સુવિધા આપવામાં ન આવતી હોવાનો પણ ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ રૂમ અને જીમખાનું વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવેજેને લઇને મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટ રૂમ અને જીમખાનું વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે, કોલેજના સંપૂર્ણ સમય દરમિયાન કેન્ટીન ચાલુ રાખવામાં આવે અને આઉટડોર ગેમ્સ માટે પૂરતી ગ્રાઉન્ડ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની માંગણી નહી સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:17 pm

CM ભૂપેન્દ્ર પટેલ મેગા બાઈક રેલીથી ગજવશે પાટીદાર ગઢ:સીમાડા નાકાથી હીરાબાગ સુધી બાઈક રેલી, 15 રૂટ ડાયવર્ટ; મુસાફરી કરતા પહેલા આ લિસ્ટ વાંચી લેજો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારોમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે. આવતીકાલે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે આવશે, જ્યાં તેઓ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને પગલે શહેરના ટ્રાફિક રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સીમાડા નાકાથી હીરાબાગ સુધી કેસરીયો માહોલગુરુવારે સાંજે 5 કલાકે શરૂ થનારી આ મેગા બાઈક રેલી દ્વારા મુખ્યમંત્રી સીધા જનતાની વચ્ચે જઈને સંવાદ કરશે. આ રેલીનો રૂટ વરાછાના મુખ્ય પોકેટ્સને આવરી લે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સીમાડા નાકાથી પ્રારંભ થઈ નાના વરાછા અને વોર્ડ નંબર 4ના કાર્યાલય તરફ આગળ વધશે. રેલી માર્ગમાં કલા કુંજ મંદિર, BAPS મંદિર, અને પીપી માણીયા હોસ્પિટલ જેવા સીમાચિહ્નો આવશે. કાપોદ્રા થઈને પૂર્વ મંત્રી કુમાર કાનાણીના કાર્યાલય અને અંતે હીરાબાગ સર્કલ પર વિશાળ જનમેદની સાથે રેલી પૂર્ણ થશે. ટ્રાફિક એડવાઈઝરી અને સુરક્ષા વ્યવસ્થામુખ્યમંત્રીના આગમનને પગલે એરપોર્ટથી વરાછા અને વળતી મુસાફરીમાં કતારગામ સુધીના રૂટ પર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. એસ.કે.નગર સર્કલ, મગદલ્લા, SVNIT, અને અઠવાગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 23 એપ્રિલે બપોર પછી વરાછા અને તેની આસપાસના વિસ્તારોમાં BRTS અને સીટીલીંક બસોના રૂટ બદલવામાં આવ્યા છે. ખાસ કરીને નાના વરાછા ઢાળથી હીરાબાગ સુધીના રસ્તાઓ રેલી માટે અનામત રહેશે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે અત્યંત મહત્વનાવરાછા અને કતારગામ જેવા નિર્ણાયક વિસ્તારોમાં ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતું નથી. મુખ્યમંત્રીની આ સીધી હાજરીનો હેતુ ખાસ કરીને યુવા મતદારોમાં ઉત્સાહ ભરવાનો અને જ્ઞાતિ સમીકરણોને પક્ષની તરફેણમાં કરવાનો છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે અત્યંત મહત્વના મનાઈ રહ્યા છે, જેમાં હીરાબાગ ખાતે મુખ્યમંત્રીનું સંબોધન ચૂંટણીની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:14 pm

અમરેલીમાં કોંગ્રેસને ઝટકો: દિનેશ પરમાર ભાજપમાં જોડાયા:35 વર્ષના સિનિયર નેતાએ પક્ષ છોડી કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા

અમરેલીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સિનિયર નેતા દિનેશ પરમારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. દિનેશ પરમારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના વિકાસ કાર્યોથી પ્રભાવિત થયા છે અને આ કારણોસર ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે કોંગ્રેસ પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, તેમને ટિકિટ આપવામાં આવી નહોતી અને પક્ષમાં આંતરિક સેટિંગ થતું હોવાથી તેઓ નારાજ હતા. જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા દલિત સમાજના અગ્રણી તરીકે ઓળખાતા દિનેશ પરમારને આવકારવામાં આવ્યા હતા. આ ઘટનાથી અમરેલીમાં કોંગ્રેસ માટે રાજકીય પડકારો વધુ વધતા જોવા મળી રહ્યા છે. પરમારે વધુમાં જણાવ્યું કે, તેમણે 35 વર્ષ સુધી કોંગ્રેસની ખંત અને લગનથી સેવા કરી છે અને જુદા જુદા હોદ્દાઓ પર કામ કર્યું છે, જેમાં અમરેલી શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ વિભાગનો પણ સમાવેશ થાય છે. તેમણે આક્ષેપ કર્યો કે, તેમની અને તેમના ધર્મપત્નીની ટિકિટ કાપવામાં આવી હતી અને તેમની વફાદારીને ધ્યાનમાં લેવામાં આવી નહોતી. તેમણે પાર્ટીનું સંચાલન કરતા અમુક લોકો પર જોહુકમી અને ટિકિટ બાબતે સેટલમેન્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ વિકાસમાં માને છે અને વર્તમાનમાં અમરેલીથી કેન્દ્ર સુધી ભાજપ સરકાર હોવાથી સરકાર સાથે જોડાવું તેમની ફરજ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:08 pm

વી.એન.એસ.જી.યુ. ફાઇન આર્ટ્સ વિભાગની 17મી વાર્ષિક આર્ટ ડિસ્પ્લે:પ્રદર્શન 22 થી 25 એપ્રિલ સુધી ખુલ્લું, વિદ્યાર્થીઓની કૃતિઓ રજૂ

વી.એન.એસ.જી.યુ.ના ફાઇન આર્ટ્સ વિભાગ દ્વારા 17મી વાર્ષિક આર્ટ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 22 થી 25 એપ્રિલ, 2026 દરમિયાન સુરત ખાતે યોજાશે. ફાઇન આર્ટ્સ વિભાગે સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે સુરત, ગુજરાત અને રાજ્ય બહાર પણ ફાઇન આર્ટ્સ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરીને યુનિવર્સિટીનું નામ રોશન કરી રહ્યા છે. આ પ્રદર્શન તમામ શહેરીજનો, કલા રસિકો અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને ફાઇન આર્ટ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, એડ્વર્ટાઇઝિંગ એજન્સીઓ અને કલા પ્રત્યે રસ ધરાવતા લોકોને મુલાકાત લેવા આમંત્રણ અપાયું છે. પ્રદર્શનમાં પેઇન્ટિંગ, સ્કલ્પચર અને એપ્લાઇડ આર્ટના વિવિધ સુંદર અને સર્જનાત્મક આર્ટવર્ક્સ રજૂ કરાયા છે. વિદ્યાર્થીઓએ વિવિધ સામગ્રી અને નવીન વિચારોનો ઉપયોગ કરીને અનોખી કૃતિઓ બનાવી છે. તેમાં પોર્ટ્રેટ, લાઇફ સ્ટડી, કેલેન્ડર ડિઝાઇન, ટાઇપોગ્રાફી, સ્ટોરી બુક ડિઝાઇન, ટીવીસી, પ્રોડક્ટ કેમ્પેઇન અને બ્રાન્ડિંગ જેવા વિષયો પર આધારિત કૃતિઓનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન આજના AI યુગમાં પણ હેન્ડવર્ક અને સર્જનાત્મકતાના મહત્વને ઉજાગર કરે છે. પ્રદર્શિત કૃતિઓ દ્વારા AI હોવા છતાં આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું? તેનો જીવંત જવાબ સ્પષ્ટપણે જોવા મળશે. મુલાકાતીઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાકૃતિઓનો આનંદ માણવા વિનંતી કરવામાં આવી છે. પ્રદર્શન ફાઇન આર્ટ્સ વિભાગ, વી.એન.એસ.જી.યુ., સુરત ખાતે સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:05 pm

Editor's View: યુદ્ધના ખર્ચે મહાસત્તાને મૂંઝવી:અમેરિકાની ઐસીતૈસી, હોર્મુઝ ખોલવા યુરોપનો પ્લાન-B તૈયાર, ભાઠે ભરાયેલા ટ્રમ્પે ધર્મનાં નામે પોલિટિકલ પેંતરો કર્યો

શું તમે કલ્પના કરી શકો છો કે તમે આટલું વાંચ્યું ત્યાં સુધીમાં તો અમેરિકાએ 20 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હશે? જી હાં! માનવામાં નહીં આવે પણ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા દર સેકન્ડે સાડા અગિયાર હજાર ડોલર એટલે કે 9.60 લાખ રૂપિયા વાપરી રહ્યું છે. એવામાં એવો માહોલ બની રહ્યો છે કે અમેરિકા પાસે લડવા રૂપિયા અને દારૂગોળો તો છે પણ ખર્ચ કરી શકે એવી પરિસ્થિતિ નથી. એટલા માટે જ ડેડલાઈન પર ડેડલાઈન આપે છે પણ કંઈ કરી શકતું નથી. એક બાજુ ઈરાને હોર્મુઝ બ્લોક કરીને દુનિયાની આર્થિક નસ દબાવી છે તો બીજીબાજુ અમેરિકા ખર્ચા કરીને હાંફી ગયું છે. યુદ્ધમાંથી પાછળ હટવાની ચર્ચાઓ રોકવા માટે ટ્રમ્પે ધર્મનો સહારો લીધો છે. વોશિંગ્ટનમાં તે બાઈબલ વાંચવામાં અને વેચવામાં મસ્ત છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ બધુ થઈ જ રહ્યું છે ત્યારે લંડનમાં 30 દેશોએ અમેરિકાને સાઈડલાઈન કરીને હોર્મુઝ ખોલવા માટે પ્લાન-બી તૈયાર કર્યો છે. આપણાથી હજારો કિલોમીટર દૂર શું ખીચડી રંધાઈ રહી છે જેની આપણા રસોડાને અસર પડી શકે? આજે આપણે તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર... બ્રાઉન યુનિવર્સિટીની વોટસન ઈન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે અમેરિકા અત્યારે જે યુદ્ધ લડી રહ્યું છે તેની કિંમત સામાન્ય માણસની સમજ બહાર છે. રિપોર્ટ મુજબ રોજ 1-2 બિલિયન ડોલરનો ખર્ચો થઈ રહ્યો છે. વધુ સહેલાઈથી સમજીએ તો દર કલાકે 390 કરોડ રૂપિયાનો ધૂમાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અમેરિકાએ 24 બિલિયન ડોલરથી પણ વધુ રકમ ઉડાવી દીધી છે જ્યારે ઈઝરાયલે 11.2 બિલિયન ડોલર યુદ્ધમાં વાપરી નાખ્યા છે. આ સાંભળતા એક સવાલ થાય કે રૂપિયા તો ખર્ચ થઈ રહ્યા છે! પણ વાપરવામાં ક્યાં આવી રહ્યા છે? જવાબ છે અમેરિકાના સૈનિકોના પગાર કે ભથ્થામાં નહીં પણ ટેક્નોલોજીવાળા એડવાન્સ હથિયારો અને મોંઘા દારૂગોળામાં. ઈરાન સસ્તા ભાવના ડ્રોનથી અમેરિકાના મોંઘા હથિયારો પર હુમલો કરે છે. જેના કારણે ઈરાનને ઓછું નુકસાન થાય છે પણ અમેરિકાને આર્થિક કમર ભાંગી જાય એવું નુકસાન થાય છે. ક્યાં 20 હજાર ડોલરનું ડ્રોન અને ક્યાં 20 લાખ ડોલરની ઈન્ટરસેપ્ટર મિસાઈલ, આ આર્થિક રીતે થકવી દેતી યુદ્ધ રણનીતિ છે. ટ્રમ્પ સરકાર અત્યારે યુદ્ધને લંબાવવા માટે વધારાના 200 બિલિયન ડોલર એટલે 18 લાખ 76 હજાર કરોડ રૂપિયાની માગ કરી રહ્યું છે. જો કે એક વાત એવી પણ છે કે આવનાર વર્ષમાં ડિફેન્સમાં ખર્ચો કરવા માટે 1.5 ટ્રિલિયન ડોલર એટલે 1 કરોડ 40 લાખ 70 હજાર કરોડ રૂપિયાના જંગી બજેટની પણ માગ ટ્રમ્પ સરકાર કરી રહી છે. આ રકમના કારણે જાહેર સેવાઓના રૂપિયા ઓછા ફળવાશે અને લોકોને તેનો ઓછો લાભ મળશે. શું અમેરિકાનો દારૂગોળો ખૂટ્યો છે?અમેરિકા માટે સૌથી મોટું ટેન્શન પૈસા નથી, પણ હથિયારો બનાવવાની ફેક્ટરી અને પ્રોડક્શનની સ્પીડ છે. આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ રશિયા અને યુક્રેનની વોર થઈ હતી. આ સિવાય દાયકાઓથી મિડલ ઈસ્ટ અને આફ્રિકન દેશો સાથે સંઘર્ષો ચાલી રહ્યા છે. જેણે અમેરિકાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ બેઝને નબળો પાડી દીધો છે. ખાસ કરીને 155 એમએમના આર્ટિલરી શેલ કારણ કે તેની માત્રા ઓછી થઈ રહી છે તેવા રિપોર્ટ્સ છે. જો કે અમેરિકા હવાઈ હુમલા કરે છે તે પણ ધ્યાને લેવું જોઈએ.. અમેરિકાને કેમ યુદ્ધ લડવામાં ફાંફાં?ડિફેન્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે યુક્રેન અને ઈઝરાયલમાં શેલનો વપરાશ થઈ રહ્યો છે તે પ્રોડક્શન કરતા ઘણો વધારે છે. જ્યારે અમેરિકા મહિને પ્રોડક્શન 40 હજારથી વધારીની 1 લાખ સુધી પહોંચાડવા માગે છે. ત્યારે વાસ્તવિકતા એ છે કે કાચા માલની કમી અહીં મેઈન પ્રોબ્લમ બની રહી છે. નાઇટ્રોસેલ્યુલોઝ અથવા ગન કોટનની ગ્લોબલ ક્રાઈસના કારણે ગન પાઉડર બનાવવાની પ્રોસેસ પણ ધીમી ડપી રહી છે. વધુમાં લોકહીડ માર્ટિન જેવા યુનીટ્સમાં થયેલી મજૂર હડતાલે મિસાઈલ પ્રોડક્શનને ખોરવી નાખ્યું છે. આમાં પણ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એડવાન્સ વેપન માટે જે ગેલિયમ વાપરવામાં આવે છે તેનો મોટા ભાગનો કન્ટ્રોલ ચીન પાસે છે. આના માટે અમેરિકાને અત્યારે યુદ્ધ લડવામાં વેપન્સની તકલીફ પડી રહી છે. હોર્મુઝ પર કબજો મોટું ટેન્શનમેદાનથી દરિયા બાજુ આવીએ તો પરિસ્થિતિ તેનાથી પણ ખતરનાક છે. 28 ફેબ્રુઆરી 2026ના ઈરાન પર થયેલા સીધા હુમલા પછી ઈરાને પોતાનું સૌથી શક્તિશાળી હથિયાર હોર્મુઝની નાકાબંધી કરીને વાપર્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે આ દરિયાઈ પટ્ટીને ચેકપોસ્ટ કે ટોલગેટ બનાવી દીધી છે જેના કારણે તેલ અને ગેસમાં વર્લ્ડવાઈડ ક્રાઈસિસ ઉભી થઈ ગઈ છે. 20 હજારથી વધુ મોતના સાયા હેઠળજેના કારણે ગ્લોબલ સપ્લાઈમાં મોટો જંગી ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં રોજ 100થી પણ વધુ જહાજો પસાર થતાં હતાં ત્યાં આજે માત્ર ગણ્યાં ગાંઠ્યા જહાજો જ હોર્મુઝ પાસ કરી રહ્યા છે. 120થી વધુ દેશોમાં તેલના ભાવ પણ વધી રહ્યા છે. માટે એક મોંઘવારીનો મારો દુનિયાભરમાં છવાઈ રહ્યો છે. આના કારણે આફ્રિકામાં જતા ખાતરની સપ્લાયને પણ પડ્યા પર પાટું લાગ્યું છે. ઉપરથી એક રિપોર્ટ મુજબ 20 હજારથી વધુ લોકો પર્શિયન ગલ્ફમાં મોતના સાયા હેઠળ જીવી રહ્યા છે. અમેરિકા વિના હોર્મુઝ ખોલવાનો યુરોપિયન પ્લાન આજના સૌથી મોટા સમાચાર અને ડિપ્લોમેટિક ફેરફાર આ છે. યુરોપ હવે અમેરિકા પર સોયની અણિ જેટલો પણ ભરોસો કરવા તૈયાર નથી. આજે લંડનમાં યુકે અને ફ્રાન્સની લીડરશીપમાં 30થી વધુ દેશોની મીટિંગ થઈ. આ મીટિંગનો મેઈન ઉદ્દેશ્ય એ હતો કે હોર્મુઝ ખોલવામાં આવે, તેમાં રહેલી માઈન્સને ક્લિયર કરવામાં આવે અને કોમર્શિયલ જહાજોની રક્ષા કરવામાં આવે. તેનાથી પણ મોટી વાત એ છે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અને મારે યુરોપની જરૂર નથી એવા નિવેદનોએ યુરોપને પોતાનો અલગ જ રસ્તો બનાવવા માટે મજબૂર કર્યા છે. બ્રિટનના ડિફેન્સ મિનિસ્ટર જોન હિલી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્લાન બી તૈયાર કરી લીધો છે. આ 30 દેશોનું ગઠબંધન હોર્મુઝ ખોલાવવા પોતાના જહાજો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ એ જ યુરોપ છે જે એક સમયે અમેરિકાની છત્રછાયામાં મોજ કરતું હતું પણ હવે એકલા ચાલો રેમાં મજબૂર બન્યું છે. પાકિસ્તાનની છબી તેને મદદ કરશે?જ્યારે દુનિયાના શક્તિશાળી દેશો સંઘર્ષમાં અટવાયેલા છે, ત્યારે ઈસ્લામિક દેશ હોવાનો પાકિસ્તાનને ફાયદો મળ્યો છે. દાયકાઓ સુધી આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરનાર ઇસ્લામાબાદ આજે અમેરિકા અને ઇરાન વચ્ચે સંદેશવાહક તરીકે ઉભરી આવ્યું છે. આ પાછળનું કારણ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના અંગત સંબંધો છે તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. ટ્રમ્પે મુનીરને ફેવરિટ ફિલ્ડ માર્શલ તરીકે નવાજ્યા છે, જે કહી જાય છે કે પાકિસ્તાને ટ્રમ્પના પ્રશંસાના મોહનો બરોબરનો ઉપયોગ કર્યો છે. આ સંબંધોને વધુ મજબૂત કરવા પાકિસ્તાને ટ્રમ્પના ફેમિલિ બિઝનેસ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ સાથે પણ ભાગીદારી કરી છે, આનાથી પણ પાકિસ્તાનને ફાયદો થઈ શકે એમ છે. ટ્રમ્પ હવે ભગવાન ભરોસેપણ પાડોશી દેશથી ફરી પાછા અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પ પોતાના દેશમાં એક અલગ જ જંગ લડી રહ્યા છે. જે છે સાયકોલોજીકલ અને રિલિજિયસ નેશનાલિઝમ. 19 થી 25 એપ્રિલ દરમિયાન વોશિંગ્ટન DCના બાઇબલ મ્યૂઝિયમમાં અમેરિકા બાઇબલ વાંચે છે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પે પોતે બાઇબલના અંશો વાંચ્યા હતા, જેનો હેતુ અમેરિકાને એક ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે ફરીથી સ્થાપિત કરવાનો છે. જો કે બંધારણ મુજબ અમેરિકાનો કોઈ ચોક્કસ ધર્મ નથી તે વાત અલગ છે. ધર્મને પણ વેચવાનો બાકી ન રાખ્યોખતરનાક ટ્રમ્પને અચાનક સંત એટલા માટે બનવું પડ્યું કારણ કે તેમની એક પોસ્ટ મામલે હમણા વિવાદ થઈ ગયો છે. ટ્રમ્પે ગોડ બ્લેસ ધ યુએસએ બાઈબલ પણ પ્રોમોટ કરી છે જેની કિંમત 1 હજાર ડોલર રાખવામાં આવી છે. આ બાઈબલમાં પવિત્ર લખાણોની સાથે અમેરિકન બંધારણ અને આઝાદીની ઘોષણા પણ કરવામાં આવી છે. ક્રિટિક્સનું કહેવું છે કે વેપારી ટ્રમ્પે ધર્મને પણ વેચાવાનો બાકી નથી રાખ્યો. પણ ટ્રમ્પ માટે આવનાર મિડ ટર્મ ઈલેક્શનમાં ધર્મ મોટું હથિયાર સાબિત થઈ શકે છે માટે તેઓ સમજી વિચારીને ધર્મનું વેપારીકરણ કરી રહ્યા છે. ટ્રમ્પ અને પોપનો શાબ્દિક ડખોમાત્ર આટલું જ નહીં ટ્રમ્પ આવું એટલા માટે પણ કરી રહ્યા છે કારણ કે તેનો ડખો હમણાં વેટિકન પોપ XIV સાથે થઈ ગયો હતો. પોપે અત્યારે ઈરાની સભ્યતાને નષ્ટ કરી દેવાની ટ્રમ્પની પોસ્ટની ટિકા કરી ત્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોપ વિશે અનાફ-શનાફ વાત કહી હતી. વધુમાં ટ્રમ્પે પોતાને ઈસુ ખ્રિસ્ત લેવલના ગણાવતી પોસ્ટ કરી હતી જેણે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. ટ્રમ્પના કટ્ટર સમર્થક લોકો તેને ઈશ્વરે મોકલેલા દૂત માને છે તો અમેરિકાનો બીજો પણ સમાજ છે જે આને લોકશાહી અને ધર્મ માટે અપમાન ગણે છે. અમેરિકા હવે પાવરફૂલ નથી રહ્યું?દુનિયા હવે અમેરિકા સેન્ટર્ડ નથી રહી. અમેરિકાની શસ્ત્ર અછત અને આંતરિક રાજકીય વિખવાદે તેને નબળું પાડ્યું છે. સૌથી મોટો રોલ ટ્રમ્પના સ્વભાવનો છે કારણ કે તેના કારણે અનેક દેશોના સંબંધો અમેરિકા સાથે બગડ્યા છે. આજે દુનિયા સામે 3 મોટા સવાલો ઉભા છે કે 1) શું વેપન પ્રોડક્શનની મંદી અમેરિકાને વિદેશ નીતિ બદલવા મજબૂર કરશે? 2) શું લંડન ગઠબંધન બળપ્રયોગ વગર હોર્મુઝ ખોલાવી વેપારને પાટે લાવી દેશે?3) શું ટ્રમ્પનું ધાર્મિક કાર્ડ અમેરિકાને જોડશે કે તોડશે? અને છેલ્લે ઇસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનના આર્મી જનરલ ચીફ મુનીર પાસે અમેરિકા માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. IRNA મુજબ મુનીર ઈરાનને એવી ડીલ પર હસ્તાક્ષર કરવા માટે કહી રહ્યા હતા જે ઈરાની સાર્વભૌમત્વ વિરુદ્ધ છે. સ્થાનિક ઈરાની મીડિયાએ તો મુનિરને ટ્રમ્પના ઈશારે નાચનારા કહી દીધા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર(રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:01 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા:બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો, ધજા અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરીને બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં વડતાલ મંદિરના ચેરમેન સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી, ગઢપુર મંદિરના ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી અને ગોકુળધામ, નાર-કુંડળ-બોટાદના શ્રી શુકદેવ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:01 pm

સુરતમાં AAPનો EVM મશીનમાં ગેરરીતિનો આક્ષેપ:ઉધનાની સ્કૂલના વીડિયો રેકોર્ડિંગના પુરાવા સાથે હોબાળો, ઉમેદવાર-કાર્યકરોએ 'લોકશાહીની હત્યા'ના નારા લગાવ્યા

ચૂંટણી પૂર્વે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આર.એન. નાયક સ્કૂલના મતદાન મથક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોએ EVM મશીનમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'આપ'ના પ્રતિનિધિઓએ મતદાનના આંકડામાં વિસંગતતા હોવાનું જણાવી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવતા સ્થળ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. મતદાનના આંકડામાં વિસંગતતાનો આક્ષેપઉધનાની આર.એન. નાયક સ્કૂલના રૂમ નંબર 14માં મતદાન પ્રક્રિયા દરમિયાન વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પુરાવા તરીકે વીડિયો રેકોર્ડિંગ રજૂ કરતા દાવો કર્યો હતો કે, મશીનમાં નોંધાયેલા મતો અને વાસ્તવિક મતદાન વચ્ચે મોટો તફાવત છે. એક કાર્યકરના જણાવ્યા અનુસાર, મથક પર વાસ્તવમાં 14 મતો પડ્યા હોવા છતાં મશીન 22 મતો દર્શાવતું હતું, જે સીધી રીતે ટેકનિકલ ગડબડી અથવા છેતરપિંડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઉમેદવારોનો રોષ અને સૂત્રોચ્ચારઆ ઘટનાને પગલે 'આપ'ના ઉમેદવાર અને મહિલા પ્રતિનિધિઓ મતદાન મથકની અંદર ધસી ગયા હતા અને ચૂંટણી અધિકારીઓ સામે સીધો મોરચો માંડ્યો હતો. કાર્યકરોએ લોકશાહીની હત્યા બંધ કરો જેવા સૂત્રોચ્ચારો કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. વિરોધ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની ગડબડી વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે, અને જ્યાં સુધી મશીનની ચોકસાઈની ખાતરી ન થાય ત્યાં સુધી પ્રક્રિયા અટકાવવાની માંગ કરી હતી. પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહીપરિસ્થિતિ તંગ બનતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ મથકની અંદર ઘૂસી ગયેલા કાર્યકરોને સમજાવટથી બહાર કાઢવા અને શાંતિ જાળવવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ચૂંટણી તંત્રના અધિકારીઓએ આ ગંભીર આક્ષેપો અંગે તપાસ કરવાની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:00 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'આવિષ્કાર 2.0':પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન યોજાયું

સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આવિષ્કાર 2.0: પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન નામે એક અનોખા પ્રોજેક્ટ ફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને પ્રાયોગિક અભ્યાસ પ્રત્યે રસ વધારવાનો હતો. આ પ્રદર્શનમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મકતા અને ટેકનિકલ જ્ઞાનનું પ્રદર્શન કર્યું. પ્રોબ્લેમ બેઝ્ડ લર્નિંગ (PBL), ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ, સંભવિત સ્ટાર્ટઅપ આઈડિયાઝ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, સંશોધન આધારિત પ્રોજેક્ટ્સ તેમજ ઉદ્યોગ અને સામાજિક સમસ્યાઓના ઉકેલ આધારિત પ્રોજેક્ટ્સ જેવી વિવિધ કેટેગરીઓ હેઠળ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટ્સમાં ટેકનિકલ ઊંડાણ, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીનો ઉત્તમ સમન્વય દર્શાવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વાસ્તવિક જીવનમાં ઉપયોગી તથા સમાજ, ઉદ્યોગ અને પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રશ્નોના અસરકારક ઉકેલો રજૂ કરવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સને રિસર્ચ પેપર તરીકે વિકસાવવા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ ફેર અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિષ્ઠિત સંસ્થાઓના બાહ્ય નિષ્ણાતોએ જજ તરીકે હાજરી આપી હતી. તેમણે પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું અને તેમના માર્ગદર્શન તથા રચનાત્મક પ્રતિસાદ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટ્સમાં સુધારો કરવા તેમજ વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ દિશા મળી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના કાર્યની પ્રશંસા કરી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 8:00 pm

ઇસ્કોન ભાડજમાં 4 દિવસીય પાટોત્સવ સંપન્ન:રાધા માધવના પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી

ભાડજ સ્થિત ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં ચાર દિવસીય પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી નૃસિંહદેવ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગના મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પ્રથમ દિવસે ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને સુંદર રેશમી વસ્ત્રોથી શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાર્ષિક રથયાત્રામાં અનેક ભજન મંડળીઓ, હાથીઓ, ઘોડાઓ અને ગરબા રમતી મંડળીઓ જોડાઈ હતી. મંદિર દ્વારા પ્રસાદ વાનમાંથી તમામ દર્શનાર્થીઓને પ્રસાદ વિતરણ કરાયો હતો. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી ઉતારી પુષ્પ અને ભોગ અર્પણ કર્યા હતા. બીજા દિવસે ભગવાન શ્રી શ્રી રાધા માધવને વિશેષ અલંકારો અને તાજા સુગંધિત પુષ્પોથી સજાવવામાં આવ્યા હતા. તેમને ગજ વાહન રથમાં મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યા. હનુમદ વાહન ઉત્સવ બાદ ભગવાનને હિંડોળા ઉત્સવ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે ગરુડ વાહન ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ. રંગીન પુષ્પોથી સુશોભિત સુંદર ગજ વાહન રથમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવને સવારી કરાવવામાં આવી. ભક્તોએ ભગવાનના તેજસ્વી શણગાર અને આભૂષણોના દર્શન કર્યા. રથ ખેંચતા પહેલાં ભક્તોએ આરતી ઉતારી અને નૃત્ય-કીર્તન સાથે આનંદમય વાતાવરણ સર્જ્યું. ગજ વાહન ઉત્સવ બાદ મંદિરના કુંડમાં વિશેષ નૌકા વિહાર યોજાયો હતો. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે ભગવાન શ્રી શ્રી રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર પુષ્પો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. મંદિરને વિવિધ પુષ્પો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરાયો હતો. ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:58 pm

આત્મજ્યોત આશ્રમમાં અનાથ દીકરીઓના સમૂહ લગ્ન:સંત દિલીપરામ મહારાજ અને દાતાઓએ કન્યાદાન કરી માતા-પિતા બન્યા

મોડાસા તાલુકાના શામપુરધામ ખાતે આવેલા આત્મજ્યોત આશ્રમમાં એક અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને સંત દિલીપરામ મહારાજ, તેમના પરિવાર અને દાતાઓ દ્વારા માતા-પિતાનો સ્નેહ આપી પ્રથમ નિઃશુલ્ક સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં દાતાઓ, સંતઓ, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં દીકરીઓના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્નવિધિ દરમિયાન દરેક દીકરીને માતા-પિતાના સ્નેહ સાથે કન્યાદાન આપવામાં આવ્યું હતું. વિદાય સમયે દીકરીઓ અને ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ હતી. આ પ્રસંગે સમાજને એક સુંદર સંદેશ મળ્યો કે સૌ સાથે મળીને અનાથ દીકરીઓને પરિવાર અને સ્નેહનો અહેસાસ કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, સંત ધનગીરી મહારાજ, મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, બાલકદાસજી મહારાજ અને સામાજિક કાર્યકર નિલેશ જોષી સહિત અનેક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને તેમને ઘરવખરીની અંદાજે ૭૫ જેટલી વસ્તુઓ ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. આત્મજ્યોત આશ્રમ દ્વારા આ દીકરીઓના માતા-પિતા બની કન્યાદાન કરવામાં આવ્યું, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય બની રહ્યું છે.આ સમગ્ર પ્રસંગે સેવા, સંસ્કાર અને માનવતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે સંત દિલીપરામ મહારાજ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:56 pm

દ્વારકાધીશ મંદિરની આવક પાંચ વર્ષમાં ₹101 કરોડ પાર:2023-24માં ₹23.78 કરોડ સાથે સર્વોચ્ચ આવક નોંધાઈ

શ્રી દ્વારકાધીશ મંદિરની છેલ્લા પાંચ નાણાકીય વર્ષની આવકના આંકડાઓ જાહેર થયા છે, જે દર્શાવે છે કે મંદિરની કુલ આવક ₹101 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, વર્ષ 2023-24માં ₹23.78 કરોડની આવક સાથે સર્વોચ્ચ આંકડો નોંધાયો છે, જે મંદિરના નાણાકીય વ્યાપમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. 22 એપ્રિલ, 2026ના રોજ ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, વર્ષ 2021-22માં મંદિરની કુલ આવક ₹13,76,29,414 હતી. ત્યારબાદ, વર્ષ 2022-23માં તે વધીને ₹19,79,17,316 થઈ. વર્ષ 2023-24માં આવક ₹23,78,24,800 સુધી પહોંચી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ હતી. વર્ષ 2024-25માં ₹21,92,18,038 અને વર્ષ 2025-26માં ₹22,04,83,290ની આવક નોંધાઈ. આ પાંચ વર્ષની કુલ આવક આશરે ₹1,01,30,72,858 છે. આવક સાથે સંકળાયેલા અન્ય બે મુખ્ય માપદંડોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. 2% ચેરિટી કોન્ટ્રિબ્યુશન વર્ષ 2021-22માં ₹27,52,588 હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹44,09,659 થયું છે. તેવી જ રીતે, 15% ટ્રસ્ટ ઇન્કમ વર્ષ 2021-22માં ₹2,02,31,524 હતી, જે વર્ષ 2025-26માં ₹3,24,11,050 સુધી પહોંચી છે. વર્ષ 2023-24માં ટ્રસ્ટ ઇન્કમ ₹3,49,60,246 સુધી પહોંચી હતી, જે પાંચ વર્ષનો સૌથી મોટો ટ્રસ્ટ હિસ્સો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:52 pm

બિહારમાં હત્યા કરી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો:પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરીને પોલીસથી સંતાતો હતો, સાગરિતો સાથે મળીને ગળું કાપીને લાશ ફેકી દીધી હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિહારમાં થયેલી હત્યાના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી બિહારથી નાસીને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. આરોપીએ પૂછપરછમાં હત્યાની કબૂલાત કરી હતીક્રાઈમ બ્રાન્ચના PI નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને બાતમી મળી હતી કે, બિહારમાં દિલીપ કુમાર સિંહની ગળું કાપી નિર્દયી હત્યા કરનાર નજરે આલમ મોહમ્મદ નજબુલ (26) હાલ અમદાવાદમાં ફરી રહ્યો છે. તેની વિગતોની ખાતરી કરીને નિખિલ બ્રહ્મભટ્ટની ટીમે આરોપીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે દિલીપ કુમારની હત્યાની કબૂલાત કરી હતી. પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતોઆરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે હત્યા કરીને બિહારથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદના પેટ્રોલ પંપ પર હવા ભરવાની નોકરી કરતો હતો. હાલ તેને બિહાર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાન્ચે નેપાળના વોન્ટેડ આરોપીને ઝડપી લઈને નેપાળ પોલીસને હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:45 pm

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:મહેસાણા જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ નામ સાથેનું સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 42 બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:45 pm

‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’માં ₹622 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:ચૂંટણીમાં 1251 અતિસંવેદનશીલ અને 7166 સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હાલ બેવડા મોરચે લડી રહ્યું છે. એક તરફ 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' દ્વારા સાયબર માફિયાઓ પર ત્રાટકીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0થી ₹288 કરોડનું સાયબર નેટવર્ક ધ્વસ્તસાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સુરત, ભાવનગર, રાજકોટ અને ઉંઝામાં દરોડા પાડીને સાયબર ગુનાખોરીના મોટા નેટવર્કનો ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરની રેઇડમાં 8 આરોપીઓ અને છેલ્લા એક મહિનામાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 1,039 ફરિયાદોના આધારે કુલ ₹622 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેમાં મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે રાખેલા બેંક ખાતા) દ્વારા નાણાંની હેરફેર થતી હતી. વિસ્તાર મુજબ કાર્યવાહી આરોપીઓ ઠગાઈના નાણાં બેંક ખાતામાં મેળવી, તેને રોકડમાં ફેરવી આંગડિયા મારફતે હવાલા રૂપે સગેવગે કરવામાં આવતા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાનો એક્શન પ્લાનચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસે વ્યાપક સુરક્ષા આયોજન કર્યું છે. 60,000 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનો તૈનાત રહેશે. મતદાન મથકોનું વર્ગીકરણ ચૂંટણી પૂર્વે 1,000 થી વધુ તડીપાર, વોરન્ટી અને ભાગેડુ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાલચમાં બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવોડીજીપી ડો. કે. એલ. એન. રાવે સ્પષ્ટ જણાવ્યું છે કે, સાયબર ગેંગોને નાબૂદ કરવા અને ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ મક્કમ છે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવો. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવો. શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન પ્રક્રિયામાં સહકાર આપવો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:44 pm

ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતના રસ્તા પર લંડન જેવો નજારો:પાલિકાની ચૂંટણી ગિયર, જનતાનો રોષ ઠારવા રસ્તા પર ઉતારી ડબલ ડેકર, સ્ટેશનથી કામરેજ સુધીનું ટ્રાયલ જોઈ સુરતીઓ ઘેલા થયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરીજનોમાં પડતર પ્રશ્નોને લઈ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાના મિજાજને પારખીને એક નવો જ પેંતરો અજમાવ્યો છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ‘ડબલ ડેકર’ એસી ઈલેક્ટ્રિક બસનું ટ્રાયલ રન આજે સુરતના રાજમાર્ગો પર યોજાયું હતું. સ્ટેશનથી કામરેજ સુધી જ્યારે આ બે માળની બસ પસાર થઈ ત્યારે લોકોના મોઢા ખુલ્લા રહી ગયા હતા. વોટની ખેંચતાણ વચ્ચે લક્ઝરી સવારીશહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને અન્ય પ્રશ્નોને લઈ મતદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી આગામી ચૂંટણીમાં ભારે ન પડે તે માટે તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ લાગે છે. ચૂંટણીની આચારસંહિતા પૂર્વે જ આ ટ્રાયલ રન યોજીને પાલિકાએ એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સુરત ખરા અર્થમાં સ્માર્ટ સિટી બની રહ્યું છે. રસ્તા પર દોડતી આ બસ જાણે મતદારોને 'વિકાસ' બતાવી રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. સ્ટેશનથી કામરેજ સુધીનું મેગા ટ્રાયલસુરતની જનતા માટે સારા સમાચાર એ છે કે આગામી ડિસેમ્બર માસમાં શહેરને બે કાયમી ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસો મળી જશે. આજે GSRTC દ્વારા આ બસનું ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્ટેશનથી કોસાડ અને ત્યાંથી કામરેજ સુધીના રૂટ પર બસ દોડાવવામાં આવી હતી. એન્જિનિયરોની ટીમે બ્રિજની ઊંચાઈ, ટ્રાફિક નડતર અને વળાંકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રાયલના રિપોર્ટ બાદ ફાઈનલ રૂટ નક્કી કરાશે. ડુમ્મસ સી-ફેસ પર હવે 'રોયલ' સવારીસુરતનું નવું નઝરાણું એટલે 'ડુમ્મસ સી ફેસ'. આ પર્યટન સ્થળને ધ્યાનમાં રાખીને જ પાલિકાના ટ્રાફિક-BRTS પ્રોજેક્ટ સેલે આ બસો ખરીદવાની દરખાસ્ત મૂકી છે. બહારથી આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો ડબલ ડેકર બસના ઉપરના માળે બેસીને સુરતનો નજારો માણી શકે તેવો પાલિકાનો પ્લાન છે. આ બસ મુસાફરી માટે નહીં પણ સુરતના શાનદાર અનુભવ માટે દોડાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે. 10 વર્ષનો મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટપાલિકા દ્વારા જે ડબલ ડેકર બસો લાવવામાં આવનાર છે, તેની ખરીદી માટેની પ્રક્રિયા તેજ કરી દેવાઈ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા જે સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લીમીટેડ, ચેન્નાઈને ઓર્ડર અપાયો છે, તે જ ભાવે સુરત પાલિકા પણ આ બસો ખરીદશે. આ સોદામાં 10 વર્ષનું કોમ્પ્રીહેન્સીવ મેઈન્ટેનન્સ અને ચાર્જિંગ સુવિધાનો પણ સમાવેશ થાય છે. આ અંગેની દરખાસ્ત હવે મંજૂરીના અંતિમ તબક્કે છે. રોડ પર કતારબદ્ધ ઉભા રહી લોકોએ લીધી સેલ્ફીજેવી ડબલ ડેકર બસ સુરતના રસ્તા પર નીકળી, લોકો કામધંધો છોડીને બસ જોવા ઉભા રહી ગયા હતા. ઘણા લોકોએ બસ સાથે સેલ્ફી લીધી તો ઘણાએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ બસને લઈને ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. બસની ભવ્યતા જોઈને લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, 'ચૂંટણી જે હોય તે, પણ બસ તો જોરદાર છે!' 450 બસો બાદ વધુ 600નો ઓર્ડરસુરત શહેરમાં જાહેર પરિવહનની કાયાપલટ થઈ રહી છે. હાલમાં જ 450 ઈલેક્ટ્રિક બસો રસ્તા પર દોડી રહી છે, ત્યારે PM E-Drive સ્કીમ હેઠળ વધુ 600 ઈલેક્ટ્રિક બસો લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ જંગી કાફલામાં જ્યારે ડબલ ડેકર બસ ઉમેરાશે ત્યારે સુરતનું પબ્લિક ટ્રાન્સપોર્ટ દેશભરમાં મોડેલ બનશે. ચૂંટણી પહેલા આ આંકડાઓ રજૂ કરીને પાલિકા પોતાની પીઠ થાબડી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:38 pm

સુરતમાં ઓનલાઇન ગેમનો ખતરનાક અંજામ:ફ્રી ફાયર પર મિત્રતા બાદ કેરળના હિશામ મુનીરે સુરતની યુવતીને ગર્ભવતી બનાવી, એબોર્શન કરવા દબાણ કરી તરછોડી

ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પાંગરતા પ્રેમમાં છેતરાવાની વધુ એક ઘટના સુરતના પુણા વિસ્તારમાં સામે આવી છે. 'ફ્રી ફાયર' ગેમ રમતા કેરળના એક 19 વર્ષીય વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે હાથ અધ્ધર કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ફ્રી ફાયર ગેમ અને સોશિયલ મીડિયાથી થઈ મિત્રતામૂળ સુરતના પુણા વિસ્તારની અને અભ્યાસ અર્થે કેરળમાં રહેતી 19 વર્ષીય યુવતીને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હતો. અંદાજે એક વર્ષ પહેલા 'ફ્રી ફાયર' ગેમ રમતી વખતે તેની મુલાકાત 'એસ્ટ્રો' આઈડી ધરાવતા યુવક સાથે થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 'TENET-ASTRO' નામની આઈડીથી સંપર્ક વધારી યુવકે યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને દગાખોરીયુવતી જ્યારે કેરળમાં હતી, ત્યારે યુવકે તેને મળવા બોલાવી હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. યુવકની ઓળખ હિશામ મુનીર અબ્દુલ મુનીર (રહે. પલ્કાડ, કેરળ) તરીકે થઈ હતી. તેણે લગ્નનું વચન આપી યુવતી સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરી-2026 સુધી સંબંધો રહ્યા બાદ માર્ચ-2026માં યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. હિશામ મુનીરે લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. સુરત લાવીને યુવક ભાગી છૂટ્યોયુવતી લગ્ન માટે મક્કમ રહેતા ગત 7 એપ્રિલ 2026ના રોજ હિશામ તેને સુરત લઈ આવ્યો હતો. પુણાની યોગેશ્વર સોસાયટીમાં યુવતીના ઘરે થોડા દિવસ રહ્યા બાદ તે લગ્ન કરવાની ના પાડીને ભાગી છૂટ્યો હતો. અંતે છેતરાયેલી યુવતીએ માતા સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચી હિશામ મુનીર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:38 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બે મહિના પહેલાં જ પરણેલી ઉદ્યોગપતિની પત્નીએ ગળાફાંસો ખાધો, માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી શખ્સ નાસી છૂટ્યો

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:37 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:દસ્તાના ત્રણ ઘા મારી વૃદ્ધને પાર્કિંગમાં જ પતાવી દીધા, કોંગ્રેસ કતલખાનું બનાવશે

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:32 pm

આણંદમાં ₹8.50 લાખની છેતરપિંડી કરનારો ઝડપાયો:સોનાના દાગીના અને કારના સોદામાં વિશ્વાસઘાત કરનાર મિતુલ પઢીયારની ધરપકડ

આણંદ ટાઉન પોલીસે સોનાના દાગીના પર લોન અપાવવાના બહાને અને કારના વેચાણ પેટે કુલ ₹8.50 લાખની છેતરપિંડી આચરનાર મિતુલ રાજેશભાઈ પઢીયારની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી નિરવ અમૃતલાલ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મિતુલ પઢીયારે તેમને વિશ્વાસમાં લઈ 7 તોલા સોનાના દાગીના (આશરે ₹6 લાખની કિંમત) પર ₹4 લાખનું ધિરાણ અપાવ્યું હતું. ત્યારબાદ, આ ₹4 લાખ પરત મેળવી દાગીના છોડાવી આપવાના બહાને વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત, આરોપીએ ફરિયાદીની કાર ₹3.50 લાખમાં વેચાણથી રાખી હતી. તેણે રોકડા ₹1 લાખ આપ્યા હતા, પરંતુ બાકીના ₹2.50 લાખ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી મિતુલ પઢીયાર રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ધરપકડ થઈ હતી. આ ઉપરાંત, રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:24 pm

અડાજણમાં એકના એક 19 વર્ષીય પુત્રનું અકસ્માતમાં મોત:કોલેજ ફંક્શનથી પરત ફરતા સમયે બાઈક સ્લિપ થયું, જેસલ મેસુરિયાના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું

સુરત શહેરના અડાજણ વિસ્તારના એક આશાસ્પદ યુવાન અને માતા-પિતાના એકમાત્ર સંતાન જેસલ મેસુરિયાનું માર્ગ અકસ્માતમાં નિધન થતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રના આકસ્મિક મૃત્યુના આઘાત વચ્ચે પણ મેસુરિયા પરિવારે જેસલના ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લઈને સમાજ સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોલેજ ફંક્શનથી પરત ફરતા નડ્યો અકસ્માતકે.પી. કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો જેસલ ભાવિન મેસુરિયા કોલેજના ફંક્શનમાંથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન શહેરના સધ્ધર બ્રિજ પર જેસલની બાઈક અચાનક સ્લિપ થઈ હતી. નિયંત્રણ ગુમાવતા જેસલ બ્રિજ પરના પથ્થરના ડિવાઈડર સાથે જોરદાર ટકરાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. તંત્રની બેદરકારી સામે આક્રોશસામાજિક કાર્યકર્તા છોટુભાઈ પટેલે સધ્ધર બ્રિજ પરના પથ્થરના ડિવાઈડરની ડિઝાઇન સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો અહીં પથ્થરને બદલે ફાઈબરના ડિવાઈડર હોત તો અકસ્માતની તીવ્રતા ઓછી હોત અને કદાચ આ તેજસ્વી યુવાનનો જીવ બચી શક્યો હોત. રસ્તાની આવી ખામીઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ભારે હૈયે ચક્ષુદાનનો ઉમદા નિર્ણયએકનો એક પુત્ર ગુમાવનાર પરિવારે શોકના સાગરમાં ડૂબેલા હોવા છતાં સામાજિક જવાબદારી ભૂલ્યા નથી. પરિવારે શરૂઆતમાં અંગદાન માટે તત્પરતા બતાવી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તે શક્ય ન બનતા ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો. જેસલના ચક્ષુદાનને કારણે બે અંધ વ્યક્તિઓના જીવનમાં અંધકાર દૂર થશે. પરિવારનું માનવું છે કે કોઈ અન્યની આંખો દ્વારા જેસલ આ દુનિયામાં જીવંત રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:23 pm

ડીસામાં 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો:પાંચ આરોપી ઝડપાયા, રૂ. 30 લાખનો મુદ્દામાલ રિકવર

બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંચ આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો રૂ. 30 લાખ 36 હજાર 529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના ડીસા-ધાનેરા હાઈવે પર આવેલા ટેટોડા ગામ નજીક બની હતી. અમદાવાદની એક ચાંદીની હોલસેલ દુકાનના કર્મચારીઓ ગાડીમાં આશરે 13 કિલો 326 ગ્રામ ચાંદી લઈને આવી રહ્યા હતા. તે સમયે અન્ય ગાડીમાં આવેલા લૂંટારુઓએ તેમની ગાડી રોકી હતી. લૂંટારુઓએ ગાડીમાંથી 13 કિલો 326 ગ્રામ ચાંદી અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. તેમણે કર્મચારીઓને લાકડીઓ સહિતના હથિયારોથી લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ 112 નંબર પર અને LCB અધિકારીઓને કરવામાં આવી હતી. માહિતી મળતા જ LCB દ્વારા તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં વપરાયેલી અલ્ટો ગાડીને ઓળખી કાઢવામાં આવી અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. લગભગ એક-બે કલાકની અંદર જ LCB ટીમે ડીસા રૂરલની હદમાં લૂંટારુઓની ગાડીને પ્રાઈવેટ ગાડી વડે બ્લોક કરી હતી. લૂંટારુઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોકી ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. આ લૂંટમાં મેક્સિમમ એન્ટરપ્રાઈઝિસ નામની દુકાનનો પૂર્વ કર્મચારી ભરત રબારી પણ સામેલ હતો, જેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને આરોપીઓને ચાંદી લઈ જવાની માહિતી આપી હતી. તેને પણ પકડી પાડવામાં આવ્યો છે. લૂંટમાં સામેલ અન્ય ચાર મુખ્ય આરોપીઓમાં સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ લૂંટનું સંકલન કરનાર દેવા રબારી નામનો એક આરોપી હાલ વોન્ટેડ છે. પોલીસે લૂંટાયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદી સહિતનો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. LCB ની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:20 pm

વર્ષોથી નાસતા બે રીઢા આરોપીઓ ઝડપાયા.:​જુનાગઢ  પોલીસે જુગાર અને અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા બે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા.

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાની સૂચના મુજબ, લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે ખાસ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમોએ બે સફળ ઓપરેશન હાથ ધરીને વર્ષોથી વોન્ટેડ એવા બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે તમામ પોલીસ સ્ટેશનોને મળેલી કડક સૂચનાના અમલીકરણ માટે બી-ડિવિઝન પોલીસની ટીમ સતત કાર્યરત હતી. પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્ષ 2023 થી જુગારના ગુનામાં વોન્ટેડ એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.​આરોપી એહમદ અનિશભાઈ મારફતીયા જૂનાગઢના તળાવ દરવાજા પાસે ઊભો હોવાની માહિતી મળતા જ પોલીસે ઓપરેશન પાર પાડી 37 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસથી બચવા ગુપ્ત રીતે વસવાટ કરતો હતો. હાલ તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, જૂનાગઢ પોલીસની ટીમે ગાંધીનગર સુધી લંબાઈને એક જટિલ ઓપરેશન સફળ બનાવ્યું છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનાનો આરોપી છેલ્લા ૪ વર્ષથી ફરાર હતો. આ આરોપી વિરુદ્ધ અદાલતે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રાજકુમાર ભાણજીભાઈ પારધી (રહે. બુરી ગામ, તા. માણાવદર) હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઈડીસી પાસે આવેલા એક કારખાનામાં મજૂરી કરીને છુપાયો છે. પોલીસે તાત્કાલિક દહેગામ પહોંચી દરોડો પાડ્યો હતો અને આરોપીને ભોગ બનનાર સાથે હસ્તગત કર્યો હતો. હાલમાં આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે. ​જૂનાગઢ પોલીસની આ ડબલ સફળતાએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે અને કોઈ પણ નાસતો-ફરતો આરોપી બચી શકશે નહીં. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:20 pm

ચૂંટણીને લઈ 24 કલાક મોનિટરિંગ-સુરક્ષાનું સઘન આયોજન:ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 211 મતદાન મથકો સંવેદનશીલ જાહેર, મદદ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે

ગાંધીનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા અને નાગરિકો માટે હેલ્પલાઇન સહિતનું દ્વિસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા અને સંવેદનશીલ મથકોનું લિસ્ટજિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુરક્ષાની સમીક્ષા બાદ કુલ 892 મતદાન મથકોમાંથી 211 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આશરે 23.5 ટકા મથકો પર વધારાના પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત રહેશે. કલોલ નગરપાલિકાના 102 પૈકી 42 મથકો પર બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના 83 મથકો સહિત દહેગામ અને માણસાના વિસ્તારોમાં પણ વિશેષ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. જે-તે વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ અને અગાઉની ચૂંટણીઓના ઘર્ષણના બનાવોને આધારે આ સંવેદનશીલ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 24 કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ અને હેલ્પલાઇનવહીવટી પ્રશ્નો અને આચારસંહિતા ભંગની ફરિયાદોના ત્વરિત નિરાકરણ માટે સેક્ટર-11 સ્થિત જિલ્લા સેવા સદન ખાતે વિશેષ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. નાગરિકો કોઈપણ સમસ્યા માટે 079-232 65900 પર સંપર્ક કરી શકશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના સુપરવિઝન હેઠળ આ રૂમ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી તમામ ગતિવિધિઓનું ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:12 pm

ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રેડ:19 હજારથી વધુના ઇંગ્લિશ દારૂ સાથે શખસ ફરાર

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી એક દરોડાની કાર્યવાહીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો?ઘોઘારોડ પોલીસ મથકના જવાનો ગત રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘા જકાતનાકા પાસે આવેલી અખિલેશ સોસાયટીના પ્લોટ નંબર-1માં રહેતા રાહુલ ભુપત જેઠવા નામના શખ્સે પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. પોલીસની રેડ અને જપ્તીઆ બાતમીને આધારે ઘોઘારોડ પોલીસની ટીમે અખિલેશ સોસાયટીમાં આવેલા રાહુલ જેઠવાના મકાન પર ત્વરિત દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન રાહુલ ઘરે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ઘરની પાછળ આવેલા વાડાની ઝીણવટભરી તપાસ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂના 102 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે 19,380 રૂપિયાની કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો. દારૂ ઝડપાયા બાદ પોલીસે ફરાર આરોપી રાહુલ ભુપતભાઇ જેઠવા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં 'પ્રોહિબિશન એક્ટ' હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:12 pm

ચૂંટણીના દાવપેચમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ:ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના ભાઈની કોંગ્રેસ શહેર પ્રમુખ સામે અપહરણની ફરિયાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પણ રાજકીય દાવપેચને લગતી અરજીઓ આવી રહી છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા તેમજ હરદેવસિંહ દ્વારા પોતાના સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. જો કે હાઇકોર્ટે બંને અરજદારોને રાહત આપતા તેમની સામે કોઈ નકારાત્મક પગલાં નહીં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપી દ્વારા ફરિયાદીના ભાઈનું અપહરણઆ કેસને વિગતે જોતા ફરિયાદી શૈલેષભાઈ દ્વારા તેમના ભાઈ ભરતની અપહરણની પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની વડવા-અ સીટ ઉપર ઉમેદવારીની ટિકિટ મળી હતી. જો કે ફરિયાદીની ફરિયાદ મુજબ તેમના ભાઈ આ ચૂંટણી લડવા માંગતા નહોતા. તેમ છતાં જબરજસ્તીથી કોંગ્રેસ તેમની પાસેથી ચૂંટણી લડાવવા માંગતું હતું. જબરદસ્તીથી તેમના દસ્તાવેજો મેળવી લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપીએ તેનું અપહરણ કરી લીધું હતું. આરોપીઓની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજીઉપરોક્ત સઘળી હકીકત ફરિયાદીને ઉમેદવાર ભરતના મિત્રએ જણાવી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી આરોપીઓએ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ફરિયાદીના ભાઈ એટલે કે ખુદ ઉમેદવાર, જેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તેને એફિડેવિટ ફાઇલ કરી હતી કે ફરિયાદમાં જણાવ્યા મુજબની તેમનું કોઈ અપહરણ થયું નથી. પરંતુ 15, એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી મોટાપાયે હોર્સ ટ્રેડિંગની આશંકા હોવાથી ઉમેદવારોને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. તેઓ પણ પોતાની મરજીથી ત્યાં ગયા હતા અને તે સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીઅરજદારો જણાવ્યું હતું કે, ફક્ત દબાણ ઊભું કરવા માટે ઉપરોક્ત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી ઓગસ્ટ મહિનામાં રાખી છે અને અરજદારો સામે નકારાત્મક પગલાં નહીં લેવા માટે આદેશ કર્યો છે. આ સંદર્ભે કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ટ્વીટ કરીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત 7 લોકો સામે ફરિયાદવળી બીજી એક અરજીમાં વડોદરાની ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ પરત ખેંચી લીધું છે. તેઓએ કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત કુલ 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જાતિ વિષયક ગાળો અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને સાતેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જો કે ગુનાની ગંભીરતાને જોતા હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી સુનાવણી આગામી સમયમાં રાખી છે, પરંતુ અરજદારોને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ફરિયાદીએ આપમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુંઉલ્લેખનીય છે કે, ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એટ્રોસિટી અને ધમકીના આક્ષેપોમાં આરોપી અરજદારો વતી રજૂઆત કરાઈ છે. ફરિયાદીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. તેને અને કોંગ્રેસ પક્ષને કોઈ લેવાદેવા પણ નથી. ખરેખર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર તોડવાનો આક્ષેપ ધારાસભ્ય શૈલેશ ઉપર કોંગ્રેસ પક્ષે મૂક્યો છે. પરંતુ તેમની ફરિયાદ નોંધવાની જગ્યાએ તાલુકા પંચાયતથી ફક્ત 200 મીટર દૂર આવેલા પોલીસ મથકે આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં પણ 6 કલાક જેટલો સમય લાગ્યો છે. ઘટના સંદર્ભના CCTV હાઇકોર્ટમાં મૂકવામાં આવ્યાજોકે સરકારી વગેરે જણાવ્યું હતું કે આ એક વ્યક્તિગત ફરિયાદ છે. ઘટના સંદર્ભમાં CCTV ફૂટેજ હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમા અરજદારો ટોળામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. સરકારી વકીલની દલીલ મુજબ વ્યક્તિગત ફરિયાદને રાજકારણથી ઉપર જોઈને તેમાં તપાસની જરૂર છે. ત્યારે અરજદારોને રાહત આપી શકાય નહીં. જેનું સમર્થન ગુજરાત હાઇકોર્ટે કરતા તેમને રાહત આપી નથી. સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદવધુ એક અરજી દાહોદથી આવી હતી. જેના કાલીમહુડી ગામના સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. તેઓને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા હતા. જો કે સેશન્સ કોર્ટે તેમને કાલીમહુડી ગામમાં પ્રવેશ નહી કરવાની શરતે જામીન આપ્યા હતા. કારણ કે ફરિયાદી પણ તે જ ગામનો રહેવાસી હતો. અરજદાર આરોપી પૈકી એક સરપંચ હોવાથી તેની પંચાયત કાર્યમાં જરૂર હોવાથી તેને ગ્રામ પ્રવેશ કરવાની શરતમાં છૂટ આપવા તેને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. જેને પણ નકારી નાખવામાં આવી છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેને મતદાનના દિવસે ત્રણ કલાક ગ્રામ પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:08 pm

પ્રાકૃતિક ખેતીને ગુજરાતમાં નવી દિશા:જોર્ડનની MNG કંપની સાથે ગુજકોમાસોલનો MoU, ખેડૂતોને મળશે કુદરતી ખાતર

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજકોમાસોલ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કુદરતી ખનિજ તત્વોમાંથી બનેલા વિવિધ કુદરતી ખાતરો સહિતના પ્રોડક્ટ્સ હવે ગુજરાતના ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા માટે જોર્ડનની પ્રખ્યાત મનસિર નેચરલ ગ્રીન (MNG) કંપની સાથે MoU કરવામાં આવ્યો છે. આ સાથે દેશભરમાં પ્રથમ વખત આ પ્રકારના પ્રોડક્ટ્સને વ્યાપક પ્રમાણમાં પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. લેબોરેટરીમાં વિવિધ ઋતુઓમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતાતા. 3-4-2025ના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત ખેડૂત સેમિનાર-સંમેલનમાં આ પ્રોડક્ટ્સનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ નવી ટેક્નોલોજી પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રોડક્ટ્સ અંગે ખેડૂતોમાં રહેલી શંકાઓ દૂર કરવા માટે કૃષિ યુનિવર્સિટી તથા અન્ય લેબોરેટરીમાં વિવિધ ઋતુઓમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા. ટ્રાયલના સકારાત્મક પરિણામો મળ્યા બાદ આ પ્રોડક્ટ ખેતી માટે ઉપયોગી હોવાનું સાબિત થયું છે. આ રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સુપ્રત કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાંથી માન્યતા બાદ જ પ્રોડક્ટને અમલી બનાવવાનો નિર્ણયગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, આજના સમયમાં કેમિકલ ખાતરોના વધતા ઉપયોગને કારણે દેશ અને દુનિયામાં વિવિધ રોગોમાં વધારો થયો છે, જેના કારણે પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટની માંગ ઝડપથી વધી રહી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર અને ઉત્પાદન વધારવા માટે સરકાર તથા સંસ્થાઓ સતત પ્રયાસ કરી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે આ પહેલ મહત્વપૂર્ણ વધુમાં જણાવ્યું કે, જોર્ડનની MNG કંપની દ્વારા બનાવવામાં આવેલ આ પ્રોડક્ટ સંપૂર્ણ કુદરતી છે તેની ખાતરી કરવા માટે ખેડૂતોની હાજરીમાં પ્રયોગ કરવામાં આવ્યા હતા. ભારતની લેબોરેટરીમાંથી માન્યતા મળ્યા બાદ જ આ પ્રોડક્ટને અમલી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ MoU દ્વારા હવે ગુજકોમાસોલ ખેડૂતોને ઓછા ખર્ચે કુદરતી ખાતર ઉપલબ્ધ કરાવશે, જેના કારણે જમીનની ઉર્વરાશક્તિમાં વધારો થશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યના અગ્રણીઓ, કૃષિ નિષ્ણાતો તથા MNG કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:07 pm

રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર:રાજકોટ ડિવિઝન ખાતેથી ચાલતી ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતા મુસાફરો માટે આગામી દિવસોમાં મુસાફરીના આયોજન પૂર્વે આ સમાચાર વાંચવા અત્યંત મહત્વના છે. રેલવે તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય ડિવિઝનમાં ચાલી રહેલી ટેકનિકલ કામગીરીને પગલે રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલી મહત્વની ટ્રેનો પર અસર પડી છે. મુખ્યત્વે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝન હેઠળ આવતા નેઉરા–જટ ડુમરી સેક્શનમાં હાલ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. આ ટેકનિકલ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના માર્ગમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી રવાના થનારી ટ્રેન સંખ્યા 15635 (ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ) તેના નિયત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ પરથી ચલાવવામાં આવશે. આ ટ્રેન હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા જહાનાબાદ–પટના થઈને ગંતવ્ય સ્થાને પહોંચશે. ખાસ નોંધનીય છે કે, આ રૂટ પરિવર્તનને કારણે આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં. જે મુસાફરોએ બક્સરથી મુસાફરી કરવાનું આયોજન કર્યું હોય તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ પશ્ચિમ રેલવે દ્વારા માળખાગત વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ નિર્માણ કાર્ય માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે, જેની સીધી અસર રાજકોટ અને જામનગરના મુસાફરો પર પડશે. આ કામગીરીને કારણે વડોદરા અને જામનગર વચ્ચે દોડતી લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ઇન્ટરસિટી ટ્રેનોની વિગત 1. ટ્રેન નંબર 22959 (વડોદરા–જામનગર ઇન્ટરસિટી): આ ટ્રેન 23 એપ્રિલ, 2026ના રોજ રદ કરવામાં આવી છે. 2. ટ્રેન નંબર 22960 (જામનગર–વડોદરા ઇન્ટરસિટી): આ ટ્રેન 24 એપ્રિલ, 2026ના રોજ રદ રહેશે. ઉલ્લેખનીય છે કે, બંને ટ્રેનો રદ થવાને કારણે વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે અપ-ડાઉન કરતા અનેક મુસાફરો તેમજ વેપારી વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનોના સમય અને રૂટ અંગેની ખાતરી કરે, હાલ રેલવે તંત્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાથી મુસાફરોએ સહકાર આપવો જરૂરી છે. ટ્રેનોના સ્ટોપેજ સહિતના ફેરફારો અને નવીનતમ સમયપત્રક જાણવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે અથવા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) એપનો ઉપયોગ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:58 pm

મંડોર સરકારી શાળાને 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં એવોર્ડ મળ્યો:'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ મળ્યો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણીની સુવિધા, બાળકોનું આરોગ્ય, સલામતી અને વર્તન પરિવર્તન જેવી બાબતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાને 'સક્ષમ શાળા કાર્યક્રમ' હેઠળ 'ઇન્ક્લુઝન' સબ-કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ ઉપરાંત, 'બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ' સબ-કેટેગરીમાં તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ ગીર સોમનાથના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મંડોર સરકારી પ્રાથમિક શાળાને શિલ્ડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પરબતભાઈ બારડ દ્વારા આ સિદ્ધિ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંડોર સરકારી પ્રાથમિક શાળા દર વર્ષે તેની ઉત્કૃષ્ટ કામગીરી માટે સરકાર દ્વારા વિવિધ મંચ પરથી નોંધ લેવાય છે. તાજેતરમાં જ આચાર્ય પરબતભાઈ બારડને તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર મળ્યો છે. વધુમાં, SIR રાષ્ટ્રીય કામગીરીમાં વેરાવળ તાલુકામાં સૌપ્રથમ કામગીરી પૂર્ણ કરવા બદલ આચાર્ય પરબતભાઈ બારડ અને શિક્ષક વિજયભાઈ વાળા બંનેને પ્રાંત અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. NMMS, જવાહર નવોદય અને અનેક શિષ્યવૃત્તિ તેમજ વિશેષ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે નોંધનીય સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જ NMMS પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી ભાલિયા મોઈન મયુદીનભાઈએ મેરિટમાં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શાળામાં વિશાળ, સુંદર અને સુઘડ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ, બાળકોના રમતગમત માટે વિશાળ મેદાન અને સાધનો, સુંદર બગીચો, પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ, CCTV, મધ્યાહન ભોજન, અનેક શિષ્યવૃત્તિઓ અને સરકારી યોજનાઓના લાભ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ મોટા શહેરની ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી હોવાથી, મંડોર સરકારી શાળાની ખ્યાતિ આસપાસના વિસ્તારમાં પ્રસરેલી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ અહીં આકર્ષાય છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:52 pm

ગુજરાતથી કેદારનાથ દર્શને ગયેલા શ્રદ્ધાળુનું મોત:દીકરાના ગંભીર આરોપ- મૃતદેહ 2 કલાક સુધી તડકામાં પડી રહ્યો, એમ્બ્યુલન્સ માટે ₹16,000 માંગ્યા

કેદારનાથના કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાથી આવેલા એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મૃત્યુ બાદ મૃતદેહને નીચે લઈ જવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી ભટકવું પડ્યું. મૃતકના પુત્રએ પ્રશાસન અને મેડિકલ ટીમ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. વડોદરાથી ટૂર ઓપરેટર હેમંતભાઈ (ત્રિમૂર્તિ ટૂર્સ એન્ડ એડવેન્ચર્સ) પોતાના માતા-પિતા સાથે દર્શન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું- પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ પડી ગયા. 100 નંબર પર ફોન કર્યો, મેડિકલ ટીમે 5-10 મિનિટમાં આવવાનું કહ્યું, પરંતુ દોઢ કલાક સુધી કોઈ આવ્યું નહીં. મજબૂરીવશ પિતાને પીઠ્ઠુ પર હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આખો પરિવાર 19 એપ્રિલના રોજ કેદારનાથ અને બદ્રીનાથ ટૂર પર ગયો હતો. 70 લોકોની ટૂર છે. હેમંતભાઈ તેમના પત્ની અને માતા-પિતા સાથે ટૂર પર ગયા છે. આ દરમિયાન હેમંતભાઈના પિતાનું અવસાન થયું છે. 13 દિવસની યાત્રા છે. યાત્રા આગળ વધશે અને હેમંતભાઈ તેમના પરિવાર સાથે વડોદરા પરત આવશે. '2 કલાક તડકામાં પડી રહી ડેડ બોડી' અંકુરે આગળ કહ્યું કે, મારા પિતાનો મૃતદેહ 2 કલાક સુધી હેલિપેડ પર તડકામાં પડ્યો રહ્યો. પ્રશાસન કહે છે કે પગપાળા લઈ જાઓ. પગપાળા લઈ જવામાં 5-6 કલાક લાગશે, મૃતદેહની શું હાલત થશે. જો CM ને આવવા-જવા માટે હેલિકોપ્ટર મળી શકે છે, તો એક મૃત શ્રદ્ધાળુના મૃતદેહને નીચે પહોંચાડવા માટે કેમ નહીં? ડીએમ સાહેબ કહી રહ્યા છે કે DGCA સાથે વાત કરો. ગયા વર્ષે મૃતદેહ નીચે લઈ જવાની મંજૂરી હતી, તો આ વર્ષે અચાનક નિયમો કેમ બદલવામાં આવ્યા? શું મૃત્યુ પામેલા લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ? પુત્ર બોલ્યો- 16 હજાર રૂપિયા માંગી રહ્યા છે અંકુરે ભાસ્કરને જણાવ્યું કે રુદ્રપ્રયાગ પ્રશાસન કોઈ મદદ કરી રહ્યું નથી. ઉપરથી પૈસા માંગવામાં આવી રહ્યા છે. રુદ્રપ્રયાગના DM વિશાલ મિશ્રાએ એમ્બ્યુલન્સનો નંબર આપ્યો, જે દિલ્હી એરપોર્ટ સુધી છોડવાના 16,000 રૂપિયા માંગી રહ્યા છે. હાલ તેઓ રુદ્રપ્રયાગની હોસ્પિટલમાં છે. UCADA બોલ્યું- હેલિકોપ્ટર સેવા આપવામાં આવી યુકાડા (UCADA) સીઈઓનું કહેવું છે કે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મેડિકલ ફેસિલિટી માટે સ્થાનિક પ્રશાસનની સંપૂર્ણ જવાબદારી હોય છે અને તેમના સ્તરેથી જ બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે કહ્યું કે કેદારનાથ હેલીપેડ પર પરિવાર દ્વારા ઘણા કલાકો સુધી રાહ જોવાના સંબંધમાં કંટ્રોલ રૂમમાં પહેલા કોઈ સૂચના આપવામાં આવી ન હતી કે હેલીપેડ પર આ પ્રકારનો કોઈ કેસ છે. જેવી જ સૂચના મહાનિર્દેશક બંશીધર તિવારીએ બપોરે લગભગ 12 વાગ્યે તેમને ફોન કરીને જાણકારી આપી, તેના 10 થી 15 મિનિટની અંદર જ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી અને વૃદ્ધ વ્યક્તિના મૃતદેહને નીચે પહોંચાડી દેવામાં આવ્યો હતો. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓના મોત થયા ઉત્તરાખંડની ચારધામ યાત્રાના પહેલા જ દિવસે બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને હવે વધુ એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ચારધામ યાત્રાના પહેલા દિવસે ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી ધામ માર્ગ પર બે મૃત્યુ થયા હતા. મધ્યપ્રદેશથી પોતાના પતિ સાથે યાત્રા પર આવેલી એક મહિલાનું ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું. જ્યારે, મહારાષ્ટ્રથી આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુની પગપાળા ચઢાણ દરમિયાન અચાનક તબિયત લથડી. ચઢાણ કરતી વખતે તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ. પરિવારજનો અને પ્રશાસનની મદદથી તેમને તરત જ જાનકીચટ્ટી સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. -------------------------------------- આ સમાચાર પણ વાંચો… 181 દિવસ પછી ખુલ્યા કેદારનાથ ધામના કપાટ:હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ, DGCAએ હેલિ સેવા સ્થગિત કરી; બદરીનાથ પહોંચી ડોળીઓ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારે સવારે 8 વાગ્યે કેદારનાથ મંદિરના દરવાજા ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. પરંપરા મુજબ, મંદિરનો પૂર્વીય દરવાજો પહેલા ખોલવામાં આવ્યો હતો, અને મુખ્ય પૂજારી, રાવલ અને અન્ય હકદારોએ પ્રવેશ કર્યો હતો અને પૂજા શરૂ કરી હતી. આ દરમિયાન ગયા વર્ષે દરવાજા બંધ કરતી વખતે જ્યોતિર્લિંગ પર લગાવવામાં આવેલી રાખ દૂર કરવામાં આવી હતી અને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી. દરવાજા ખોલવાના પ્રસંગે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંદિર પહોંચ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરી. વૈદિક વિધિઓ સાથે પૂજા પૂર્ણ થયા પછી મંદિરના મુખ્ય દરવાજા હવે સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, અને દર્શન શરૂ થઈ ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:30 pm

મહીસાગરમાં હીટવેવનો પ્રકોપ, બપોરે રસ્તા સૂમસામ:આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી, ORSનું વિતરણ શરૂ

ગુજરાત રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે જિલ્લા મથક લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરમીને લઈને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જો ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય, તો તમામ સાવચેતીના પગલાં ભરવા સૂચન કરાયું છે. ખાસ કરીને સવારે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં બહાર નીકળતી વખતે શરીરને સંપૂર્ણપણે ઢાંકીને નીકળવા અને વધુ માત્રામાં પાણી તેમજ ઠંડા પદાર્થોનું સેવન કરવા જણાવાયું છે. લોકોને લૂની પરિસ્થિતિમાં ચા, કોફી અને વધુ મસાલેદાર પદાર્થોનું સેવન ટાળવા માટે પણ જણાવાયું છે. જો કોઈને લૂના લક્ષણો જણાય, તો તરત જ તેને છાંયડામાં લઈ જઈ કપડાં ઢીલા કરવા, પાણીનો છંટકાવ કરવો, છાશ કે ORS પીવડાવવું. વધુ જરૂર જણાય તો નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે જવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ત્રણ એસટી ડેપો – બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર ખાતે મુસાફરો, બસ ડ્રાઈવરો અને કંડક્ટરોને લૂથી બચવા અને લૂ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ સ્થળોએ નિઃશુલ્ક ORSનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:28 pm

હિંમતનગરમાં જલારામ-જલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ યોજાયો:જલારામ મંદિરનો 20મો અને જલેશ્વર મહાદેવનો ત્રીજો પાટોત્સવ

હિંમતનગરના ડેમાઈ રોડ પર આવેલા જલારામ મંદિર અને જલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. જલારામ મંદિરનો આ 20મો અને જલેશ્વર મહાદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ હતો. બુધવારે યોજાયેલા આ પાટોત્સવમાં યજમાનોના હસ્તે હવનનું આયોજન કરાયું હતું. જલારામ મંદિરના 20મા પાટોત્સવમાં બે યજમાનોએ હવનમાં ભાગ લીધો હતો. જ્યારે જલેશ્વર મહાદેવ મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે પાંચ યજમાનો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર હવન કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે સવારે હવનનો પ્રારંભ થયો હતો અને સાંજે હોમ સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. હવનની પૂર્ણાહુતિ બાદ યજમાનોના હસ્તે આરતી કરવામાં આવી હતી. સાંજે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:25 pm

વેરાવળ ચોપાટી પર ‘વિકાસ’ના દાવા સામે ‘ભ્રષ્ટાચાર’ના આક્ષેપો::ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોપાટી મુલાકાત દરમિયાન સુવિધાઓની ખામીઓ ઉઠાવી; ભાજપ સામે કોંગ્રેસનો સીધો હુમલો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં જ વેરાવળ નગરપાલિકાની રાજનીતિમાં તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. એક તરફ ભાજપ વિકાસના દાવા સાથે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ આ જ વિકાસને ‘ભ્રષ્ટાચારનો નકાબ’ ગણાવી તીખા પ્રહારો કરી રહી છે. હવે આ રાજકીય જંગનું કેન્દ્ર બની છે વેરાવળની ચોપાટી—જ્યાં વિકાસના દાવા સામે જ હકીકતોના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે ચોપાટી પર પહોંચી ગયા હતા અને ત્યાંની હાલતને ‘ભાજપના ભ્રષ્ટ શાસનનું જીવંત ઉદાહરણ’ ગણાવી હતી. જનસંપર્ક સાથે કરવામાં આવેલી આ મુલાકાત માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ ચૂંટણી પૂર્વેનો એક મોટો રાજકીય સંદેશ બની ગઈ છે. ચોપાટી, જે પ્રવાસન અને શહેરના ગૌરવનું પ્રતિક હોવું જોઈએ, ત્યાં હાલ બિસ્માર પરિસ્થિતિ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વોક-વેના બ્લોક્સ અને લાદીઓ થોડા જ સમયમાં ઉખડી જવાથી કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે “લોટપાણીને લાકડા જેવું કામ” કરી પ્રજાના પૈસા ગાળવામાં આવ્યા છે. રાત્રિના સમયે ચોપાટી પર અંધારપટ છવાઈ જાય છે—કારણ કે લાખો રૂપિયાના હાઈ-માસ્ટ લાઈટ પોલ બંધ હાલતમાં છે. શૌચાલયોમાં ગંદકીના ઢગલા અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ, ‘સ્માર્ટ સિટી’ના દાવાઓને ખુલ્લો પડકાર આપે છે. વધુમાં, રખડતા પશુઓ અને કૂતરાઓના ત્રાસને કારણે પરિવાર સાથે ફરવા આવતા નાગરિકો માટે ચોપાટી જોખમી બની ગઈ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપ પર આક્રમક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “આ વિકાસ નહીં, પણ ભ્રષ્ટાચારનું પ્રદર્શન છે. જનતાના કરોડો રૂપિયા ક્યાં ગયા તેનો હિસાબ ભાજપને આપવો પડશે. વેરાવળની જનતા હવે મૌન નહીં રહે આ ચૂંટણીમાં જવાબ મળશે.” ચૂંટણીના માહોલમાં કોંગ્રેસે ‘ચોપાટી મોડેલ’ને મુખ્ય મુદ્દો બનાવી ભાજપને રક્ષણાત્મક સ્થિતિમાં ધકેલી દીધું છે. બીજી તરફ ભાજપ હજુ સુધી આ આક્ષેપો પર ખુલ્લો જવાબ આપતું નથી, પરંતુ અંદરખાને નુકસાન નિયંત્રણની કોશિશો તેજ થઈ હોવાની ચર્ચા છે. સ્પષ્ટ છે કે વેરાવળની આ ચૂંટણી માત્ર મતદાન પૂરતી નહીં રહે, પરંતુ ‘વિકાસ સામે ભ્રષ્ટાચાર’ના નેરેટિવ પર લડી જશે. હવે જોવાનું એ રહેશે કે ચોપાટીનો મુદ્દો મતદારોના મનમાં કેટલો ઊંડો પ્રભાવ પાડે છે અને આ રાજકીય ઘમાસાણ અંતે કોના પક્ષે વળે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:14 pm

નિઝર પોલીસે રૂ. 30.74 લાખનો દારૂ ઝડપ્યો:મહારાષ્ટ્રથી બોલેરો પીકઅપમાં લવાતો જથ્થો કેસરપાડા પાસે પકડાયો

તાપી જિલ્લાના નિઝર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સરહદ તરફથી આવતી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂ. 28.19 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 30.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિઝર પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વિઠલપરા, PSI એમ.આઈ. વસાવા અને તેમની ટીમ કેસરપાડા ચોકી પાસે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રાત્રિના આશરે ૩:૩૦ વાગ્યે મહારાષ્ટ્રના ધાનોરા ગામ તરફથી એક સફેદ બોલેરો પીકઅપ ગાડી (નંબર: MH-15-HH-1956) શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીની પાછળના ભાગે કાળી તાડપત્રી બાંધેલી હતી. પોલીસે તપાસ કરતા અંદર પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી 'રીઝો પોર્ટ વાઈન ૧૦૦૦' બ્રાન્ડની વિવિધ માપની કુલ ૮,૭૬૦ બોટલો (૧૯૨૨.૪૦૦ લિટર) દારૂ જપ્ત કર્યો હતો. જેમાં ૭૫૦ મિ.લી.ની ૩૬૦ બોટલ (કિંમત રૂ. ૩,૯૬,૦૦૦), ૩૭૫ મિ.લી.ની ૭૨૦ બોટલ (કિંમત રૂ. ૩,૯૬,૦૦૦) અને ૧૮૦ મિ.લી.ની ૭,૬૮૦ બોટલ (કિંમત રૂ. ૨૦,૨૭,૫૨૦) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. ૨,૫૦,૦૦૦ ની બોલેરો પીકઅપ ગાડી અને રૂ. ૫,૦૦૦ નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ. ૩૦,૭૪,૫૨૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગાડીના ચાલક રમેશભાઈ ચુનિલાલભાઈ ગાંવિત (ઉંમર ૨૬, રહે. સ્વામીનગર અંબડ, તા. ચાંદવડ, જિ. નાશિક, મહારાષ્ટ્ર) ની અટકાયત કરી છે. પૂછપરછમાં આરોપી પાસે દારૂના વહન માટે કોઈ પાસ કે પરમિટ મળી ન હતી. આ સફળ કામગીરી નિઝર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વિઠલપરા, પી.એસ.આઈ. એમ.આઈ. વસાવા, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, કોન્સ્ટેબલ મુકેશભાઈ, યતિનભાઈ, સંતવાનભાઈ અને સંદીપભાઈ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:10 pm

ગોધરામાં કેન્સર સ્ક્રીનિંગ તાલીમ શરૂ:જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા MPHW, FHW ને અપાશે પ્રશિક્ષણ

ગોધરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોમન કેન્સર સ્ક્રીનિંગ અને વહેલા નિદાન માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર જેવી ગંભીર બીમારીઓના ત્વરિત નિદાન માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. આ તાલીમમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા MPHW, FHW, મેડિકલ ઓફિસર અને અન્ય આરોગ્ય કર્મચારીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં હાલ 14વર્ષની દીકરીઓને HPV વેક્સિન આપવાની કામગીરી પણ ચાલી રહી છે. આ વેક્સિન સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ ના લક્ષ્યાંક સામે 11000 જેટલી દીકરીઓને વેક્સિનેશન આપવામાં આવ્યું છે, જે 57% સિદ્ધિ દર્શાવે છે. નોંધનીય છે કે બજારમાં ૨૨ થી ૨૫ હજાર રૂપિયાની કિંમત ધરાવતી આ વેક્સિન સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) માં વિનામૂલ્યે આપવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ સંકોચ વિના પોતાની ૧૪ વર્ષની દીકરીને આ વેક્સિન અવશ્ય મુકાવે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:06 pm

વોર્ડ નંબર 4માં બ્યુટીફિકેશન થયું પણ પ્રાથમિક સુવિધા ભૂલાઈ:લોકોએ કહ્યું- નર્મદાનું એક ટીપુય પાણી નથી મળ્યું, બાલમંદિર અને પ્રાથમિક શાળા શરૂ કરવા માગ

નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકામાં આગામી 26 એપ્રિલે 13 વોર્ડની ચૂંટણી થવા જઇ રહી છે.ત્રણે પક્ષના ઉમેદવાર હાલમાં જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે.ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે મહેસાણાના વોર્ડ નંબર 4 માં આવેલા તાવડીયા રોડ પરની કેટલીક સોસાયટીમાં રહેતા રહીશોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો.આ મહાનગરપાલિકા બન્યા બાદ આ વિસ્તારમાં હાલમાં તો વિકાસના કામો થઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.ત્યારે બીજી બાજુ આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પણ હોવાનું તેઓએ જણાવ્યું છે. બ્યુટીફિકેશનના કામો વચ્ચે પીવાના પાણીની સમસ્યાઆ વિસ્તારમાં વિકાસના કામોની વાત કરવામાં આવે તો તળાવ બ્યુટીફીકેશન નું કામ ચાલી રહ્યું છે.આઇકોનીક રોડ બની રહ્યા છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે લાઇન પણ નાખી દેવામાં આવી છે.પરંતુ આ વિસ્તારમાં પાયાની સુવિધા જેવી કે સોસાયટીમાં નર્મદાનું પાણી મળતું નથી,પાણી મળે છે તો ઓછા પ્રેશરમાં મળે છે,આ વિસ્તારમાં આંગણવાડી કે સરકારી શાળા ના હોવાથી વિદ્યાર્થીઓ ને આજુબાજુ ના વિસ્તારમાં ભણવા જવું પડે છે.ત્યારે આ વિસ્તારમાં રોડ,રસ્તા,ગટર ની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં થઇ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વિનુભાઈ રાવળે જણાવ્યું કે, તાવડીયા વિસ્તારમાં બાળમંદિર નથી. નાના ભૂલકાઓને મહેસાણાના માનવ આશ્રમ અથવા તાવડીયા ગામે ભણવા જવું પડે છે.નાના બાળકો માટે ખૂબ તકલીફ ભર્યુ કામ છે.અહીંયા બાળમંદિર,જુનિયર કે.જી,સિનિયર કે.જી ની રચના થાય અને 1 થી 8 ધોરણની સ્કૂલ અહીંયા ચાલુ થાય. જેથી બાળકો અને માતા પિતાને આસાની રહે.વિકાસની વાત કરીએ તો તાવડીયા ગામના તળાવનું બ્યુટીફીકેશન થઈ રહ્યું છે, વરસાદી પાણીના નિકાલ માટે ગટરની લાઇન પણ નાખવામાં આવી છે. વિકાસ તો થયો છે પણ અમારી પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ઘર વપરાશ નું પાણી અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે આવે છે.સાંજે પણ આવે છે પરંતુ એ પૂરતું નથી આવતું.ઉનાળામાં તો ટેન્કરો મંગાવવા પડે છે ને ખૂબ મોંઘા પડે છે.તેમજ નર્મદાનું પાણી તો અમને ટીપુંય મળતું નથી.આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે તો એ આશીર્વાદ રૂપ સાબિત થશે. અકસ્માત ઝોન ગણાતા વિસ્તારમાં સ્પીડબ્રેકર મૂકવા માગમગનભાઈ દેસાઈ એ જણાવ્યું કે, આ વિસ્તારમાં તો પહેલા તાવડિયા લિંક રોડ,વિસનગર લિંક રોડ ખરો ને ત્યાં અકસ્માત ઝોન છે. અને ત્યાં બે સ્પીડ બ્રેકર માંગેલા છે પણ આજ સુધી એ કામ થયું નથી. કારણ કે એ જોખમ છે.રસ્તો ક્રોસ કરવો મોટું જોખમ છે. તાવડિયા રોડ ખરો ને, SC, ST અને OBC ની મોટાભાગની પબ્લિક અહીંયા રહે છે. આ વિસ્તારમાં પ્રાથમિક શાળા,બાલમંદિરની પણ ખૂબ જરૂર છે. પીવાનું પાણી નર્મદાનું આવતું નથી જે આવે છે એ પ્રેશરથી આવતું નથી. એટલે જે પ્રાથમિક જીવન જરૂરિયાતો જે ખરી ને એ આ રોડ ઉપર ખૂબ જ જરૂર છે. અને એ સરકાર દ્વારા અને ચૂંટાયેલા સભ્યો દ્વારા પૂરું થાય એવી અપેક્ષા રાખી છીએ. ​વધુમાં જણાવ્યું કે કોર્પોરેટરો આવતા, કેટલાય નેતાઓ આવતા. આ બધા વિકાસના કામો તો ચાલુ જ છે.પણ જે જે જરૂરિયાત છે એ જેમ કે પાયાની જરૂરિયાત પેલા સ્પીડ બ્રેકર તાવડિયા લિંક રોડ ઉપર.અને આ રોડ આખું પહોળો થાય,આ ગટરો રોડના લેવલે પુરાય, આ કેનાલો જે વરસાદી કરી ને એ રોડના લેવલ થાય તો રસ્તો પહોળો થાય. બાકી દબાણ હોય એ તોડી નાખો અને રસ્તો અત્યારથી પહોળો થાય તો પબ્લિકને સારી સુવિધા મળે. પીવાનું પૂરતું પાણી, સ્ટ્રીટ લાઈટ અને શિક્ષણ સુવિધાની માગ​ચૌહાણ ડાહ્યાભાઈ એ જણાવ્યું કે અમારા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની જે લાઇન નાખી છે.એ 8 ફૂટ જગ્યા રોકી છે.ગટર લાઇન પાઇપ લાઇન દ્વારા નાખવામાં આવે તો રસ્તો પહોળો થઈ શકે છે.આ વિસ્તારમાં વારંવાર અકસ્માતનો ભય રહે છે,ટ્રાફિક સમસ્યા બહુ છે. લોકો આડેધડ પાર્કિગ કરતા હોય છે.જેના કારણે લોકોને આવવા જવામાં ભારે તકલીફ પડતી હોય છે. અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી મળતું નથી.અમારી બાલાજી સોસાયટીમાં જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારથી રજુઆત કરીયે છીએ.કે બે સમય પીવાનું પાણી મળે પરંતુ એ સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી.આ બાબતે અમે અમારા પ્રશ્નોની રજુઆત કરી છે.જેમાં પાણી,રોડ,સ્ટ્રીટ લાઇનનો પ્રશ્ન છે.રોડ પહોળો કરી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તો રોડની રોનક સારી આવે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 pm

પોરબંદરમાં 262 ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા:જુબેલી ચાર રસ્તા પાસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત, પોરબંદર એસ.ઓ.જી.એ જુબેલી ચાર રસ્તા વિસ્તારમાંથી 262 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કડક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના આધારે, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાએ સ્ટાફને ચોક્કસ બાતમીઓ પર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે, જુબેલી ચાર રસ્તા ખાડી કાંઠે જોષી સાયકલ સ્ટોર પાછળ આવેલા એક રહેણાંક મકાન પર સરકારી પંચોને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, જયદીપ બાબુભાઈ ચાવડા (ઉંમર 28, રહે. ગીતાનગર સોસાયટી, છાંયા) અને નારણભાઈ વરજાંગભાઈ વાજા (ઉંમર 66, રહે. જુબેલી ચાર રસ્તા વિસ્તાર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે રૂપિયા 13,100ની કિંમતનો 262 ગ્રામ સૂકો ગાંજો, રૂપિયા 500નો એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને રૂપિયા 2,500નો Nothing કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 16,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:58 pm

ઈટાલિયા ગાળ બોલ્યા, ધ્યાન દોર્યુ તો કહે નોર્મલ છે:નેતાઓને કર્મો દેખાડ્યા રામના નામે ભાગ્યા, કપરાડામાં અકસ્માતમાં 6ના મોત

AAP નેતા ગોપાલ ઈટાલિયા ગાળ બોલ્યા જૂનાગઢમાં ભેસાણમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાળ બોલ્યા હાજર આગેવાનો એ ધ્યાન દોરતા કહ્યુ ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્મો દેખાડ્યા તો રામના નામે ભાગ્યા!અમદાવાદના શાહપુરમાં પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારોને અધૂરા કામોને લઈને સ્થાનિકોએ ઘેર્યા .. ત્યારે જવાબ આપવાને બદલે ઉમેદવારો જય શ્રીરામના નારા લગાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલાને ધક્કો મારતા તે દીવાલ સાથે અથડાઈ સુરતના ગોરાટમાં હનુમાન મંદિરના વિવાદને લઈને સ્થાનિકોએ ભાજપ કાર્યકર્તાઓને રોક્યા તો કાર્યકર્તાઓ ધક્કામુક્કી પર ઉતરી મહિલાઓ સાથે જપાજપી કરી .. જેમા મહિલાને ધક્કો વાગતા તે દીવાલ સાથે અથડાઈ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ જિલ્લા પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો જૂનાગઢના કેશોદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જાહેરમાં બર્થડે ઉજવ્યો કેક કાપી ફટાકડા ફોડ્યા... કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ સહભાગી થયા... જાહેરમા ઉજવણી થી પોલીસની કાર્યવાહી પર સવાલો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કપરાડામાં પીકઅપ પલટી જતા 6 લોકોના મોત કપરાડા નજીક મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી પલટી મારી જતા 6 લોકોના મોત થયા.. કુલ 28 જેટલા વ્યક્તિઓ પરિવાર આણું વાળવા જતા હતા ત્યા અકસ્માત નડ્યો... ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત સુરતના સુભાષનગરમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના માત્ર બે જ મહિનામાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવર સ્પીડમાં બેલેન્સ ગુમાવતા મોત સુરતના કામરેજમાં પુરપાટ ઝડપે જતી મોટરસાયકલ વીજળીના થાંભલા સાથે અથડાઇ ... વતન જવા માટે સામાન લેવા જતા ત્યારે બાઇક પરથી કાબુ ગુમાવતા એકનું મોત નીપજ્યુ... પોલીસે આગળ તપાસ હાથ ધરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ સુરતના કાપોદ્રામાં ફૂટપાથ પર માતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયુ.. સીસીટીવી ફૂટેજમાં અપહરણકાર બાળકીને ટ્રેનથી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાથી સુરત પોલીસની 20 ટીમો ઈન્દોર જવાના રવાના આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની હત્યા અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની હત્યા કરાઇ .. અજાણ્યા વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી ..સવારે 55 વર્ષીય કાનજીભાઈનો મૃતદેહ મળતા સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શેકાવા તૈયાર રહેજો, પારો 43 ડિગ્રી પહોચશે ગુજરાતમાં આગામી 7 દિવસ આગઝરતી ગરમીની આગાહી 24 તારીખથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે .. તાપમાનનો પારો 43 સુધી પહોંચવાની શક્યતા છે મતદાનના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી રહેશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:51 pm

ખેડાના ડાકોર પંથકમાં ભૂકંપનો આંચકો:4:35 વાગ્યે મોટા અવાજ સાથે આંચકાને કારણે ફાગવેલ અને કાલસરના ગ્રામજનોમા ફફડાટ; તીવ્રતા 3.4

ખેડા જિલ્લાના ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4:35 કલાકે 3.4 ની તીવ્રતા નોંધાઈવહેલી સવારે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો કાલસર, આગરવા નેશ અને કાલસર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે મહેસૂસ કરવામાં આવ્યો હતો. મોટા અવાજ સાથે ધરા ધ્રૂજતા ફફડાટભૂકંપનો આંચકો એકાએક મોટા અવાજ સાથે આવતા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલુકાનું વજેવાલ ગામ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ફાગવેલ તાલુકાના અનેક ગામોમાં અસરડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં પણ કેટલાક ગામોમાં ધરા ધ્રૂજી હતી. ફાગવેલ તાલુકાના વડોલ, કાપડીવાવ અને ફાગવેલ જેવા મુખ્ય ગામોમાં બરાબર 4:36 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગભરાટના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા અચાનક આવેલા આંચકાથી ભયભીત થયેલા લોકો જીવ બચાવવા માટે તાત્કાલિક પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સમગ્ર પંથકના લોકોએ ભૂકંપનો આ હળવો આંચકો અનુભવતા લાંબા સમય સુધી લોકોમાં ફફડાટ વ્યાપેલો રહ્યો હતો.આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:28 pm

ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી

Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અંગે નવી આગાહી કરવામાં આવી છે. પૂર્વાનુમાન અનુસાર, હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 22થી 28 એપ્રિલ, 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે: IMDની આગાહી હાલમાં પણ રાજ્યમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેમાં અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.

ગુજરાત સમાચાર 22 Apr 2026 5:03 pm

કોહલીને 2 કરોડનો ધુંબો લાગતા બચ્યો!:ઉત્તર ગુજરાતના નારાયણ અને રિંકુએ ગામ ગાંડું કર્યું; પંડ્યા બ્રધર્સના કજિયાનો બોલતો પુરાવો મળ્યો, જુઓ VIDEO

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:55 pm

કપરાડામાં પીકઅપ પલટી જતા 6 લોકોના મોત:28 લોકો સવાર હતા, આણું વાળવા જતા પરિવારને અકસ્માત નડ્યો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:51 pm

ATM કાર્ડ અને પિન નંબર વિના બેંક ખાતામાંથી પૈસા ગાયાબ:સુરતના ભેજાબાજોની ગજબની મોડસ ઓપરેન્ડી, BScના વિદ્યાર્થી સહિત 3ની ધરપકડ; હરિણાયા કનેક્શન ખુલ્યું

કલ્પના કરો કે તમારું ATM કાર્ડ તમારા ખિસ્સામાં છે, પિન નંબર પણ સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઇટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન મેળવી, હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા કાર્ડ સ્વાઇપ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ શું કામ કરતા?પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને DCP બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. BScના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મંથન સુરેશભાઇ કુકડિયા (ઉ.વ. 19) બોગસ 'ઉદ્યમ સર્ટિફિકેટ' બનાવી બેંકમાંથી POS મશીન મેળવતો હતો. સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય જયંતીભાઇ ધડુક (ઉ.વ. 28) મંથન પાસેથી POS મશીન મેળવી હરિયાણાના જીંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરતો હતો. બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશુ વિપુલભાઇ મહેતા (ઉ.વ. 24) ફ્રોડના નાણાં ATMમાંથી વિડ્રો કરી CDM દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. ક્લોનિંગથી કમિશન સુધીની આરોપીઓની મોડસ ઓપરેન્ડીઆ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના વ્યાપારી વ્યવહારમાં ફેરવતી હતી. મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી, ગ્રાફિક્સની મદદથી નકલી 'ઉદ્યમ સર્ટિફિકેટ' બનાવી એક્સિસ બેંકમાંથી સત્તાવાર POS મશીન મેળવ્યું હતું. આ મશીન હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલવામાં આવતું, જ્યાં અન્ય આરોપીઓ નિર્દોષ લોકોના ATM કાર્ડ ક્લોન કરી આ મશીન પર સ્વાઇપ કરતા હતા. કાર્ડ સ્વાઇપ થતા જ રૂપિયા સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થતા. માત્ર 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ વ્યવહાર બદલ મંથને ₹20,000 અને અન્ય બે આરોપીઓએ ₹25,000-25,000નું કમિશન મેળવ્યું હતું. રાજસ્થાની યુવકની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂરાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક વ્યક્તિના કાર્ડનો ઉપયોગ થયા વગર જ સુરતના POS મશીનમાંથી રૂપિયા ઉપડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ઇન્સ્પેક્ટર એન.આર. પટેલે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવ શંકાસ્પદ POS મશીનોના આધારે આખી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસની ટીમ મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા હરિયાણા રવાનાપોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને અપીલ કરી છે કે પોતાના મહત્વના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ કે વ્યવસાયિક સર્ટિફિકેટ અજાણી વ્યક્તિને ન આપવા, કારણ કે તેનો ઉપયોગ તમારા નામે બોગસ બેંક ખાતા કે મશીનો મેળવવા માટે થઈ શકે છે. હાલ સુરત પોલીસની એક ટીમ હરિયાણામાં છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા રવાના થઈ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:33 pm

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન:MLA ખેડાવાલાનું નિવેદન, ભાજપે રાજકીય મુદ્દો બનાવી કતલખાનું રદ કરાવ્યું, 2 મહિનામાં જ ફરી સ્લોટર હાઉસનો મુદ્દો સળગ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો છે. જમાલપુરમાં પેનલની જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું કોંગ્રેસે નાગરિકોને વચન આપ્યું છે. સ્લોટર હાઉસ બનાવવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મંજૂરી આપી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે. પરંતુ ભાજપના નેતાઓએ ખોટી રીતે રાજકીય મુદ્દો બનાવી સ્લોટર હાઉસ રદ કરાવ્યું હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે. 2 મહિનામાં જ ફરી સ્લોટર હાઉસનો મુદ્દો સળગ્યો છે. કોંગ્રેસે જીત બાદ સ્લોટર હાઉસ બનાવવાનું વચન આપ્યુંઉમેદવારોની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મિટિંગ કરી કાર્યકર્તાઓની નારાજગી દૂર કરી છે. જેથી હવે તમામ કાર્યકર્તા એકસાથે આવીને કોંગ્રેસની પેનલને જીતાડવા માટે કામે લાગ્યા છે. જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ કોંગ્રેસની પેનલની જીત બાદ અતિ આધુનિક સ્લોટર હાઉસ બનાવવાનું નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં આવતી હોવાથી સ્લોટર હાઉસની જરૂર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની વાત કરનાર ભાજપના નેતાઓને પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આડે હાથ લીધા છે. ભાજપના નેતાઓ પાસે વિકાસનો કોઈ મુદ્દો ન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાન અને ચિકનની લારીઓ બંધ કરાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. '30 વર્ષથી ભાજપનું શાસન, છતાં લોકો ઉમેદવારોને વિસ્તારમાં આવવા દેતા નથી'ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, નાગરિકોની રજૂઆત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. 30 વર્ષથી ભાજપનું શાસન છે છતાં ચૂંટણી દરમિયાન નાગરિકો ભાજપના ઉમેદવારોને વિસ્તારમાં જવા દેતા નથી. કોંગ્રેસને ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળવાના છે. જમાલપુરમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અનેક વિકાસના કામ કર્યા છે. કોર્પોરેટર હતો ત્યારે અને ધારાસભ્ય છું ત્યારે પણ લોકોના મુદ્દા સરકાર સામે ઉઠાવુ છું. આ ચૂંટણીમાં અમે કોઈ વાદવિવાદમાં પડવા માંગતા નથી. રોજ લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, સારા રોડ હોય, ગાર્ડન હોય સહિતની વ્યવસ્થા અમે પૂરી કરી છે. 'ભાજપના લોકોએ રાજકીય મુદ્દો બનાવીને સ્લોટર હાઉસને રદ કરાવ્યું'સ્લોટર હાઉસ બનાવવાની વાત સાથે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર આવેલું છે ત્યારે બીજી તરફ ગીતા મંદિર આવેલું છે. જેની વચ્ચે સ્લોટર હાઉસ આવેલું છે અને તે દૂર કરવામાં આવે અને અન્ય સ્થળે તેને શિફ્ટ કરવામાં આવે. બહેરામપુરા વિસ્તારમાં પ્લોટ પણ ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો હતો જે જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવા માટેની વાત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ એ ખોટો મુદ્દો બનાવીને તેને રદ કરાવી દીધું હતું. 'કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી'ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે. ઇન્ટરનેશનલ લોકો અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ અમદાવાદ આવશે. ત્યારે તે લોકોને જે પ્રમાણેનું ફૂડ જોઈએ તે પ્રમાણેનું ફૂડ આપવું હોય તો આ પ્રકારની તમામ સુવિધાઓ કરવી જરૂરી છે. તેમજ અત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ કહે છે કે જમાલપુર જુહાપુરા બની જશે તેવી વાતો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. અમિત ઠાકર ફતેવાડીને જંગલેશ્વર કહે છે. કૌશિક જૈન પાસે ચિકનની લારીઓ-દુકાનો બંધ કરાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. જેથી અમે ફક્ત અને ફક્ત વિકાસની વાતો કરી છીએ જેથી પ્રજાને જે જોઈએ છે તે આપવાની અમે ખાતરી આપીએ છીએ. 'જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે'જમાલપુર કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, જમાલપુરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું. પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે સ્લોટર હાઉસ કેન્સલ થયું હતું. જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા કોંગ્રેસનો પ્રયાસ રહેશે. બહાર આવતા લોકોને સરળતા રહે તે માટે વ્યવસ્થા કરીશું. અમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને અને ચૂંટણી લડી રહ્યા છીએ. જ્યાં સુધી કટકી ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:16 pm

પેટ્રોલપંપ લૂંટનો મુખ્ય સૂત્રધાર 27 વર્ષે ઝડપાયો:જામનગર LCBએ મધ્યપ્રદેશથી આરોપીને દબોચી લીધો

જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલા કિર્તિ પેટ્રોલપંપમાં આજથી 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં સશસ્ત્ર ધાડ પાડી રૂ. 1,90,000ની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1999માં બનેલી આ લૂંટની ઘટનાએ તે સમયે ભારે ચકચાર જગાવી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર (રહે. કાકરાદરા, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) છેલ્લા 27 વર્ષથી પોલીસની ધરપકડ ટાળવા માટે પોતાની ઓળખ છુપાવી નાસતો-ફરતો હતો. નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. પોલીસે આરોપીના વતનના લોકોના ડેટા અને મતદાર યાદીઓ તપાસી 'ડીપ સર્ચ' ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અલગ-અલગ સમયે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આશરો લઈ રહ્યો છે. આથી LCBની ટીમે આ રાજ્યોમાં ધામા નાખ્યા હતા. અંતે, મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી બાબુ ઉર્ફે બાબી ડોડીયારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે ભૂતકાળમાં દ્વારકાના સુપ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરમાં થયેલી લૂંટના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. આ સફળ કામગીરીમાં LCBના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:10 pm

'ચાર-ચાર હોસ્પિટલમાં સારવાર કરાવી તોય જીવ ન બચ્યો':દહેગામમાં બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

દહેગામ તાલુકાના લવાડ - દહેગામ રોડ પર માર્ચ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 30 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત પછી ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ યુવકને કાળ ભરખી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈએ અકસ્માતના આશરે એક મહિના બાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મંદિર પાસે એકાએક કૂતરુ આવી જતા બ્રેક મારતા બાઈક સ્લીપપ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પંચમહાલના કાલોલ તાલુકાના મેદાપુરા ગામના વતની અને હાલ દહેગામ ખાતે ખેતરમાં મજૂરી કરતો 30 વર્ષીય કમલેશ નરવતભાઈ નાયક ગત તા.25 માર્ચના રોજ રાત્રિના સમયે બાઈક લઈને ખેતરેથી પરત જઈ રહ્યો હતો ત્યારે લવાડથી દહેગામ જતા રોડ પર જોગણી માતાના મંદિર પાસે અચાનક એક કૂતરું આડે આવી જતાં તેણે બ્રેક મારી હતી. જેના કારણે બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને કમલેશને માથા તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતા જ તેના મોટા ભાઈ અને મિત્રો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રિક્ષા મારફતે તેને દહેગામ સરકારી દવાખાને લઈ ગયા હતા. ​ઇજાની ગંભીરતાને જોતા કમલેશને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.બાદમાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ પીઠના ભાગે અસહ્ય દુખાવો થતા તેને ગોધરાની સરકારી હોસ્પિટલમાં બતાવતા ખબર પડી હતી કે તેને મણકાના ભાગે ગંભીર ઇજા થઈ છે. 4-4 હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ મોત ત્યારબાદ તેને વધુ ઓપરેશન માટે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં મણકાનું ઓપરેશન સફળતાપૂર્વક થયા બાદ કમલેશ વધુ સારવાર હેઠળ હતો. જોકે ગત તારીખ 15 એપ્રિલના રોજ રાત્રિના સમયે અચાનક તેની તબિયત લથડી હતી અને ઉલટી થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આમ ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ કમલેશને કાળ ભરખી ગયો હતો. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે દહેગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 4:10 pm

રાજકીય કિન્નાખોરી સામે કાયદાનો વિજય:ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ શહેર પ્રમુખ સામેની FIR પર લગાવ્યો મનાઈહુકમ

ચૂંટણી ટાણે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ સત્તાધારી પક્ષને આંચકો અને કોંગ્રેસને મોટી રાહત આપી છે ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને 'ખોટી' અને 'રાજકીય પ્રેરિત' ગણાવી હાઈકોર્ટે કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે, ​શું છે સમગ્ર મામલો? ​જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલાએ જણાવ્યું હતું કે, ​આ આદેશને ન્યાયની જીત ગણાવતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું. વરિષ્ઠ વકીલની ધારદાર રજૂઆત અને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ કાનૂની સફળતાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,​​હાઈકોર્ટના ચુકાદા શહેર પ્રમુખ લાલભા ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના પર કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને હાસ્યાસ્પદ હતી. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીના વ્યસ્ત સમયમાં મને બે-ત્રણ કલાક સુધી બેસાડી રાખીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ડર્યો નથી કે મેં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી. ​તેમણે આ કાનૂની લડાઈમાં સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે હાઈકોર્ટમાં ત્વરિત અને અસરકારક કાનૂની કાર્યવાહી કરી તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ જેમણે આ મામલે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર આવી ધમકીઓથી ડરશે નહીં કે ઝૂકશે નહીં. તમામ કાર્યકરો પક્ષ અને ઉમેદવારોના પ્રચારનું કામ નિડરતાથી ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:56 pm

હથિયાર સાથે બે પરપ્રાંતિયો ઝડપાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે રાજસ્થાનના બે શખસો હથિયાર સાથે ઝડપાયા, જિલ્લા SOGની કાર્યવાહી

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા બે પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે બંને શખસોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામની સીમમાં જિલ્લા SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, બે વ્યક્તિઓ ગેરકાયદે અગ્નિશસ્ત્ર લઈને કુરાલીથી ગણપતપુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે SOG ટીમે બે શખસોને તેમને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ મોબીનભાઈ મતાભાઈ સિંધી (મૂળ રહેઠાણ: બામનોર, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન; હાલ રહે. ધાવટ ગામ, તા. કરજણ) અને અમીનભાઈ હકીમભાઈ ગજુ (સિંધી) (મૂળ રહેઠાણ: ધાકોકાતલા, નવા તલા, રાઠોડા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન; હાલ રહે. ઉતરાજ, કિરણ બાપુના કુવા ઉપર, તા. શિનોર) તરીકે થઈ છે. બંને આરોપીઓ પાસેથી એક દેશી હાથબનાવટનો તમંચો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે તમંચો કોની પાસેથી મેળવ્યો હતો અને તેનો શું ઉદ્દેશ્ય હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:45 pm

સ્વાભિમાન પર્વ અંતર્ગત ઉત્તરપ્રદેશથી 1000થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યાં:પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરતાં રડી પડ્યા, સોમનાથનો ભવ્ય ઈતિહાસ જોઈ ભાવવિભોર થયા; ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી1000થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત માટે મંદિરમાં જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. લાઇવ આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો નજારો માણ્યો આટલી વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ LED સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો, જેને જોઈને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રસાદ અને આતિથ્યભક્તોના આ આધ્યાત્મિક પ્રવાસને યાદગાર બનાવવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌ ભક્તોને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય આધ્યાત્મિક પ્રવાસઆ 1000થી વધુ ભક્તો સોમનાથ તીર્થમાં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે જાણકારી મેળવશે. આ ઉપરાંત, ભક્તો ભાલકા તીર્થ, રામ મંદિર, ગોલોકધામ તીર્થ અને ત્રિવેણી સંગમ સહિતના અન્ય પવિત્ર સ્થાનોની પણ મુલાકાત લેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને આતિથ્ય માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:42 pm

હિંમતનગરના મોતીપુરામાં મગફળી ભરેલા ટ્રકમાં આગ:ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતા લાગી, ફાયર ટીમે કાબૂ મેળવ્યો

હિંમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર મગફળી ભરેલો એક ઓવરલોડ ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. ટ્રકમાં મગફળીની બોરીઓ ઓવરલોડ ભરેલી હોવાને કારણે તે ઉપરથી પસાર થતાં વીજળીના તારને અડકી હતી. વીજ તાર મગફળીની બોરીઓને અડકતાં તણખા ઉડ્યા હતા, જેના કારણે થોડી જ વારમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ દરમિયાન, પાછળથી આવતો બીજો ઓવરલોડ ટ્રક સમયસર રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ચાલક અને વેપારીની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં ભરેલી મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે અને વીજ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રક ચાલક અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:40 pm

ખાનગી કંપનીના ડેટા ચોરીનો મામલો:આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

મહેસાણા ખાતે સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા.લિમિટેડ કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી કંપનીના કર્મચારી દ્વારા બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હોવાની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. જેલમાં બંધ આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતીવિસનગરના પાલડી ગામના અમિત વિરસંગભાઈ ચૌધરી મહેસાણા સ્થિત સાઈ ફિલ્ડ સર્વિસ પ્રા. લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.તે દરમિયાન 22 જાન્યુઆરી 2026 થી ફેબ્રુ 2026 દરમિયાનના કંપનીના ડેટા અને સોફ્ટવેર સહિત માહિતીની ચોરી કરી બુકાકા એન્ડ ગેસ પ્રા.લિમિટેડ કંપનીને પહોચતી કરી હતી. આ બાબતની તાજેતરમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. આ કેસમાં જેલમાં બંધ આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલો આધારે સેશન્સ કોર્ટ જજ એ.એલ. વ્યાસે આ ગુનાના આરોપી અમિત વિરસંગભાઈ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:33 pm

નશાની ચુંગાલમાંથી મુક્ત થયું દાંપત્ય જીવન:ગાંધીનગરમાં નશાની લતે ચડેલા પતિનું 181 અભયમે કર્યું હૃદય પરિવર્તન, તૂટતો પરિવાર બચાવ્યો

આજના આધુનિક યુગમાં પણ ઘરેલું હિંસા અને નશાખોરી સામાજિક દૂષણ બનીને અનેક પરિવારોને વેરવિખેર કરી રહી છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી હતી.જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના અસરકારક કાઉન્સેલિંગને કારણે એક હસતો-રમતો પરિવાર બરબાદ થતા બચી ગયો છે. પતિ દારુ પીધા બાદ ઘરે પત્નીને માનસિક ત્રાસ આપતો હતોઆ ઘટનાની વિગત મુજબ એક પીડિત મહિલાએ લાચારીની સ્થિતિમાં 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ રડતા અવાજે જણાવ્યું કે, તેના પતિ કેફી દ્રવ્યોના રવાડે ચડી ગયા છે. નશો કરીને ઘરે આવ્યા બાદ તેઓ પત્ની સાથે મારપીટ કરે છે અને સતત માનસિક ત્રાસ આપે છે. આ કેસમાં કરુણતા એ હતી કે આ દંપતીએ એક જ ગામમાં રહીને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નને કારણે પિયર પક્ષે સંબંધો તોડી નાખ્યા હતા. જેના કારણે મહિલા પાસે કોઈનો સહારો રહ્યો નહોતો. એક વર્ષથી ધંધો મૂકીને નશાના રવાડે ચડ્યો હતોઆ ઘટનાની જાણ થતાં જ 181 અભયમની ટીમ પીડિત મહિલાના ઘરે પહોંચી હતી. ​પીડિત મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ સાસુ સસરાથી અલગ રહે છે અને તેમને બે નાનાં બાળકો છે. પતિ છેલ્લા એક વર્ષથી કામ ધંધામાં અનિયમિત થઈ ગયા હતા. નશાની આદતને કારણે ઘરમાં પૈસા આપવાને બદલે તેઓ પત્ની પાસે જ પૈસાની માંગણી કરતા હતા. બાળકો નાના હોવાથી મહિલા પોતે કમાવા જઈ શકતી નહોતી.પરિણામે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું . અભયમે પતિને પરિવારની સ્થિતિ સમજાવીને કાઉન્સેેલિંગ કર્યુંબાદમાં અભયમની ટીમે મામલાની ગંભીરતાને સમજીને બંને પક્ષોને સામસામે બેસાડીને સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. ટીમે મહિલાના પતિને કડક શબ્દોમાં કાયદાકીય પાઠ ભણાવ્યા હતા અને તેને સમજાવ્યું હતું કે તેનું આ વર્તન તેને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. ઉપરાંત પતિને અહેસાસ કરાવ્યો હતો કે નશાને કારણે તે માત્ર પોતાનું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પોતાના માસૂમ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલી રહ્યો છે. આખરે અભયમ ટીમના કાઉન્સેલિંગને અંતે પતિના હૃદયમાં પસ્તાવાની લાગણી જન્મી હતી. તેણે પોતાની ભૂલનો સ્વીકાર કરીને ભવિષ્યમાં ક્યારેય કેફી દ્રવ્યોનું સેવન ન કરવાની અને પરિવારની જવાબદારી નિભાવવાની ખાતરી આપી હતી. આમ અભયમના કારણે એક વિખેરાતો પરિવાર ફરી એકવાર સુખદ સમાધાન સાથે એક થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:30 pm

SOG પોલીસે ડમી ગ્રાહક મોકલતા ભાંડો ફૂટ્યો:ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી નશાકારક કફ સીરપ અને અન્ય દવાઓનું વેચાણ કરવામાં આવતું, ફૂડ અને ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે.

વડોદરા શહેરમાં “નશામુક્ત વડોદરા” અભિયાન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે શહેર SOG કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ખાતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા તેમજ નાર્કોટિક્સ સંબંધિત કેસોમાં વધારો કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મેડિકલ અને ફાર્માસ્યુટિકલ દુકાનોમાં ચેકિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે શહેર એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ પર ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન વાડી વિસ્તારમાં આર.વી. દેસાઈ રોડ પર આવેલા “પ્રતાપનગર મેડિકલ” સ્ટોર પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલ સ્ટોરમાંથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સીરપ અને અન્ય દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વિવિધ પ્રકારની નશાયુક્ત કફ સીરપ અને ગોળીઓ મળી આવી હતી. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્ટોક રજીસ્ટર ચકાસતા કોઈપણ પ્રકારનો રજીસ્ટર જાળવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:27 pm

'મત લેવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં':મનપા ચૂંટણી પૂર્વે સુરતીઓ દ્વારા ખૂણે-ખૂણે નેતાઓનો વિરોધ; જાણો કયા વોર્ડમાં જનતાએ ઉમેદવારોને ભગાડ્યા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ વખતે દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ ઝોનમાં પ્રચાર માટે નીકળેલા ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના ઉમેદવારોને મતદારોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી રહ્યા છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપ સામે લોકોમાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે. લોકોએ ફરિયાદો છોડીને ઉમેદવારોને ઘેરવાનું શરુ કરી દીધુ હતુંસુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પરંપરાગત પ્રચારના બદલે 'વિરોધનો પ્રચાર' વધુ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં સ્થિતિ સરખી જ છે. લોકોએ હવે માત્ર ફરિયાદો કરવાનું છોડીને સીધા ઉમેદવારોને ઘેરવાનું શરૂ કર્યું છે. રસ્તા, ગટર, પાણી અને સરકારી શાળાઓ જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં વર્ષોથી જમા થયેલો ગુસ્સો હવે ચૂંટણી સમયે બહાર આવી રહ્યો છે. શાસક પક્ષ સામે વિરોધનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે કોંગ્રેસને તેની નિષ્ક્રિયતા બદલ અને આપને આંતરિક જૂથવાદ માટે સાંભળવું પડી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ જે રીતે આગળ વધી રહ્યો છે, તેને આ 4 સ્ટેપમાં સમજી શકાય છે: ભાજપના ઉમેદવારોની ફજેતીપાંડેસરા-ભેસ્તાન વિસ્તારના વોર્ડ-28માં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ જ્યારે કૈલાશનગરમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહીશ મનીષે વીડિયો બનાવતા આક્ષેપ કર્યો હતો કે, આ ચોર લોકો વોટની ભીખ માંગતા આવ્યા છે. પાણી ભરાવાની સમસ્યા અને ગેરકાયદે બાંધકામોની ફરિયાદો છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ નેતાઓને ખખડાવ્યા હતા. એેવી જ રીતે વોર્ડ-11 (અડાજણ-ગોરાટ) માં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાની ગાડી પર નંબર પ્લેટ ન હોવાથી અને 'ગાર્ડન' લખેલું હોવાથી લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પૂછ્યું કે જો સામાન્ય જનતા આવી ભૂલ કરે તો પોલીસ 'આતંકવાદી' જેવો વ્યવહાર કરે છે, તો નેતાઓ માટે કાયદો અલગ કેમ? કોંગ્રેસ સામે મહિલાઓનો આક્રોશવોર્ડ-18 (લિંબાયત-પરવટ-કુંભારીયા) ના માધવબાગ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને આશા હતી કે ભાજપના વિરોધનો તેમને લાભ મળશે. જોકે, ત્યાંની મહિલાઓએ કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મહિલાઓએ સવાલ કર્યો કે, 35 વર્ષથી ભાજપ સત્તા પર છે છતાં કશું કરી શકી નથી, તો તમે વિપક્ષમાં રહીને શું કર્યું? હવે તમે આવીને કયો મોટો ફેરફાર કરી દેશો? આ ઘટનાએ વિપક્ષની મજબૂતી પર સવાલો ઉભા કર્યા છે. ટિકિટ ફાળવણી અને જ્ઞાતિવાદનો ભડકોસુરતના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા મહત્વનો રહ્યો છે. વોર્ડ-10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર) માં ભાજપના સમર્પિત મતદાર ગણાતા કોળી પટેલ અને કણબી સમાજમાં ભડકો થયો છે. અહીં સ્થાનિક કાર્યકરોની ઉપેક્ષા કરી બહારના મીનાક્ષી પાપૈયાને ટિકિટ અપાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ, અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજે પણ બેઠક યોજીને ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપની પડખે રહેવા છતાં તેમને કોઈ રાજકીય પ્રતિનિધિત્વ કે મહત્વ આપવામાં આવતું નથી. કોટ વિસ્તારમાં કોરોના ના હિસાબ માંગતી જનતાવોર્ડ-13 (વાડીફળીયા-નવાપુરા) ના લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ સણસણતો સવાલ કર્યો કે, કોરોના અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જ્યારે અમે મરતા હતા ત્યારે તમે ક્યાં હતા? હવે કયા મોઢે મત માંગવા આવ્યા છો? લોકોએ તેમને સમાજની તકલીફમાં ઉભા ન રહેવા બદલ પ્રચાર કરતા અટકાવી દીધા હતા. વરાછા અને કતારગામ જેવા ગઢમાં જ ગાબડાં પડ્યાસૌરાષ્ટ્રવાસીઓના ગઢ ગણાતા વરાછા અને કતારગામમાં પણ સ્થિતિ નાજુક છે. વોર્ડ-3 માં 'પાસ' ના પૂર્વ નેતા અને હવે ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરીયાનો ઉગ્ર વિરોધ થયો હતો. રસ્તાના પ્રશ્નો પૂછતી મહિલાઓ સામે નેતાઓએ વીડિયો ઉતારવાનો ઇનકાર કરતા મામલો વધુ બિચક્યો હતો. કતારગામના વોર્ડ-7માં ભાજપના રઘુ ખુંટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રહીશોએ વીડિયો વાયરલ કર્યા હતા. જ્યારે વોર્ડ-19 માં પૂર્વ ટીપી કમિટી ચેરમેન નાગર પટેલને સી.સી. રોડના પ્રશ્ને લોકોએ ઉધડો લીધો હતો. 2011માં 96 લાખ ભર્યા છતાં સ્થાનિકોને પાણીના ફાંફાંસૌથી મોટો વિરોધ વેસુની 'આશીર્વાદ વિલા' સોસાયટીમાં જોવા મળ્યો છે. વોર્ડ-22 ના આ રહીશોએ 2011 માં 96 લાખ રૂપિયા ભર્યા હોવા છતાં આજે પણ તેમને પાણીની સુવિધા મળી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફાર કરી સોસાયટીના મંજૂર રોડ ખાનગી પ્લોટમાં ફેરવી દેવાતા 2500 રહીશોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કર્યો છે અને પ્રચાર માટે આવતા ભાજપના નેતાઓને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:26 pm

'આપ'નું અધિકાર પત્ર જાહેર:રાજકોટમાં આપની સરકાર આવશે તો શિક્ષણ, આરોગ્ય સહીત 9 મુદ્દાઓ પર કામ કરવામાં આવશે, અધિકાર પત્રને પદાધિકારીઓ અને વોર્ડ ઓફિસમાં લગાડવામાં આવશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 'આપ'નું અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યું છે. અગમ ચૂંટણીમાં રાજકોટ મહાનગર પાલિકામાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અધિકાર સાથે રાજકોટને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા જાહેરાત કરી છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીત અલગ અલગ 9 મુદાઓને આવરી લઇ આ અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જો મનપામાં આપ ની સરકાર બનશે તો જાહેર કરેલ અધિકાર પત્ર દરેક પદાધિકારીની ચેમ્બર, તેમજ વોર્ડ ઓફિસમાં લેમિનેટ કરાવીને રાખીશું જેથી જનતા પોતાના અધિકાર અંગે જાણી શકે અને કેટલા કામો થયા કેટલા બાકીનો હિસાબ મેળવી શકે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મંત્રી અજિત લોખીલએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજ રોજ આમ આ પાર્ટી દ્વારા અધિકાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. મનપામાં અમારૂ શાસન આવશે તો અમે જનતાને તેમના અધિકારો માટેનું શાસન પૂરું પાડીશું આ માટે મુખ્ય 9 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સ્પોટેશન, અને રમતગમત ક્ષેત્ર સહીતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. શું છે અધિકાર પત્રના મુખ્ય મુદ્દાઓ અધિકાર નં. 1 શિક્ષણ • પ્રત્યેક વોર્ડમાં વસ્તી પ્રમાણે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉભી કરીશું. રાજકોટમાં જે શાળાઓ જર્જરીત છે તેનું નવિનીકરણ કરીશું. • રાજકોટમાં સારામાં સારી સરકારી કોલેજો ઉભી થાય એ માટેના ઈમાનદાર પ્રયત્નો કરીશું. • પ્રત્યેક વોર્ડમાં E-Books સાથેના જાહેર વાંચનાલયો ઉભા કરીશું જેમાં પુસ્તકો, સામયિકો, કોમ્પ્યુટર વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય. અધિકાર નં. 2 આરોગ્ય• રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસવાટ કરતા તમામ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપીશું, જે અંતર્ગત કોઈ પણ પ્રકારની વધારાની શરતો વગર કોઈ પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં તમામ બીમારીઓની સારવાર કરવામાં આવશે. • મહોલ્લા ક્લિનિકની જેમ જ રાજકોટમાં Clinic On Wheelની સુવિધા શરુ કરીશું જેમાં એક મોટા વાહનની અંદર સામાન્ય કક્ષાની બીમારીઓની તપાસ માટેની તમામ સુવિધાઓ, દવાઓ અને ડોક્ટર ઉપલબ્ધ હશે. દરેક ઝોનમાં પ્રાથમિક કક્ષાના તમામ ટેસ્ટ, સોનોગ્રાફી, એક્સ-રે વગેરે સુવિધાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવીશું. • ભેળસેળયુક્ત ખોરાકને સુનિશ્ચિત કરવા માટે ખાધપદાર્થોના ટેસ્ટીંગ માટે દરેક ઝોન દીઠ ફૂડ ટેસ્ટીંગ લેબ બનાવીશું. • ડ્રગ્સ લેવા માટે હોટસ્પોટ બનેલા ડાર્ક ઝોનને લાઈટ અને CCTV કેમેરાથી સજ્જ કરીશું અને ડ્રગ્સને સંપૂર્ણપણે નાબુદ કરવા માટેના તમામે તમામ પ્રયત્નો કરીશું. અધિકાર નં. 3 વેરાઓ• ઘર વેરો અડધો કરીશું, પાણી વેરો માફ કરીશું. તમામ પ્રકારના વેરાઓની નવેસરથી સમીક્ષા કરીશું. • પાણીના સમયમાં હાલના સમય કરતાં વધારો કરીશું અને પુરા ફોર્સથી પાણી આપીશું. • ભાડે આપેલી પ્રોપટીનો ટેકસ ઓછો કરીશું. અધિકાર નં. 4 પાર્કિંગ અને જાહેર પરિવડન • રાજકોટ શહેરમાં રોડ રસ્તા અને ફુટપાથની ગુણવતામાં સુધારો કરીને ટ્રાફીકની મહાકાય સમસ્યાનું નિરાકરણ કરીશુ. • મહિલાઓ, વિધાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે સીંટી બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરીશું. • વધુમાં વધુ જાહેર પાર્કિંગ ઉભા કરીશું અને બ્રીજ નીચે બનેલા પાર્કિંગમાં વાહન મુકવાનો કોઈ ચાર્જ વસુલ કરીશું નહીં. • વધુમાં વધુ રીક્ષા સ્ટેન્ડ બનાવીશું અધિકાર નં. 5 પર્યાવરણ • શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તો આ વિસ્તારોમાં પાણીના નિકાલ અને જળ સંચયની યોગ્ય વ્યવસ્થા ઉભી કરીશું. • વૃક્ષોની સંખ્યા બમણી કરીશું. • કચરાને રીસાયકલીંમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ખાતર તથા ગેસમાં રૂપાંતર કરીને આર.એમ.સી.ની આવકમાં વધારો કરીશુ. અધિકાર નં. 6 સંસ્કૃતિ અને રમતગમત • શહેરીકરણને કારણે ઉભા થયેલા માનસિક તણાવ/થાક દૂર કરી ફરી બીજા દિવસ માટે મન પ્રકૃલ્લિત થાય તેવી પ્રવૃત્તિયઓ જેવી કે બાગબગીચા, હળવી કસરતો, લાફીંગ ક્લબ, વોકર્સ ક્લબ, સંગીતને પ્રોત્સાહન આપીશું. • સાંસ્કૃતિ/સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલિત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમના ચાર્જમાં મહતમ ઘટાડો કરીશું • રાજકોટના મૂર્ધન્ય કવિઓ, સાહિત્યકારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓ અને વારસો જળવાય એ માટેની વ્યવસ્થાઓ ઉભી કરીશું. • યુવતીઓ માટે દરેક ઝોનમાં અલગ મહિલા સ્પોર્ટ્સ સંકુલો ઉભા કરીશું. • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ એકેડેમી ઉભી થાય એ માટેના પ્રયત્નો કરીશું. અધિકાર નં. 7 જનસુવિધાઓ • નગરરાજ બીલ લાગુ કરીને રાજકોટનું બજેટ રાજકોટના નાગરિકોની જરૂરીયાત મુજબ રાજકોટનીશેરીઓમાં બનાવીશું. • પ્રત્યેક વોર્ડમાં એક-એક વોર્ડ ઓફીસ ઉભી કરીને સુવિધાઓનું વિકેન્દ્રીકરણ કરીશું જેથી કરીને લોકોને નજીકમાં જ તેમજ ઝડપથી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે. વોર્ડ ઓફીસ પર નક્કી કરેલા સમયે કોર્પોરેટરો હાજર રહીને લોકોની સમસ્યાઓને સાંભળશે. મહાનગરપાલિકાનો વહીવટ પક્ષની ઓફિસેથી નહી પણ વોર્ડની ઓફિસેથી થશે. • સાંસ્કૃતિક / સામાજીક કાર્યો માટે આર.એમ.સી. સંચાલીત કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમનાં ચાર્જમાં મહતમ ઘટાડો કરીશુ. • રાજકોટના ઘરવિહોણા લોકોની સંખ્યાનું મૂલ્યાંકન કરીને ખરેખર જરૂરીયાતમંદ લોકોને પરવડે એ ભાવે આવાસમાં ઘર ઉપલબ્ધ કરાવીશું. • ઈમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોય તો એનો સર્વે કરીને એને COR આપીશું. અધિકાર નં. 8 ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા • ટેન્ડર અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવીશું. • ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી સામાન્ય સભાનું લાઇવ ટેલીકાસ્ટ કરીશું અધિકાર નં. 9 અન્ય • રખડતા પ્રાણીઓ માટે એનીમલ હોસ્ટેલ બનાવીશું જેથી કરીને પ્રાણીઓ અને નાગરિકો બંનેની સુવિધાઓ જળવાઈ શકે. અધિકારી એમને • લારી-ગલ્લાવાળાઓને અને ફેરિયાઓને ઓળખપત્ર આપીને એમને નિયમિત કરીશું, જેથી કોઈ પણ ખોટી રીતે હેરાન ન કરી શકે. સ્ટ્રીટ વેન્ડર્સ રેગ્યુલેશન કાયદાનું ચુસ્ત અમલીકરણ કરાવીશું. • રાજકોટ મહાનગરપાલિકા સાથે કામ કરતાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યુનત્તમ વેતન અપાવીશું • ફાયર વિભાગની ખાલી જગ્યાઓ ભરીશું, સાધનોની પૂર્તિ કરીશું તેમજ NOCની વ્યવસ્થા વધુ સારી બનાવીશું. • રાજકોટની જરૂરિયાત પ્રમાણેની યોજનાઓ બનાવીશું. આયાતી યોજનાઓ નહી બનાવીએ.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:21 pm

વિશેષ ફેસિલિટેશન સેન્ટર પર મતદાન યોજાયું:વડોદરા મનપાની સામાન્ય ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું, બે સેન્ટરો પર કર્મચારીઓનું મતદાન

આગામી તારીખ 26/04/26ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે, ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાપૂર્વક ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતાપાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓએ અગાઉથી ટપાલ દ્વારા મતદાન કરવા માટે અરજી કરી હતી અને જેમને નિયત પ્રક્રિયા મુજબ ઘરના સરનામે મતપત્ર પ્રાપ્ત થયા હતા એવા કર્મચારીઓ માટે આજ રોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ ફેસિલિટેશન સેન્ટરો ખાતે સવારે 9થી સાંજે 6 કલાક સુધી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. વહીવટી સરળતા અને સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે વોર્ડ નંબર 1થી 12 ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને વોર્ડ નંબર 12થી 19ના કર્મચારીઓ માટે આંગણવાડી કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ જેવી મહત્વની કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓએ આ સુવિધાનો મહત્તમ લાભ લઈ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાના લાભ થકી કર્મચારીઓ ફરજની સાથે સાથે લોકશાહીના પર્વમાં પણ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:19 pm

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી:સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ વોર્ડ અને 15 કૂલર મુકાયા

દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. સિવિલમાં ખાસ 'હીટવેવ વોર્ડ' તૈયાર, સ્ટાફને અપાઈ ટ્રેનિંગદક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓ સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ચૂંટણીના માહોલ પર ગરમીનું ગ્રહણઆગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ હીટવેવની અસર રાજકીય ગરમાવા પર પણ પડી શકે છે. બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્નઆઉટ પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બપોરે 12 થી 3 'નો ગો ઝોન': બાળકો-વૃદ્ધો ખાસ સાચવેડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકાયાસુરત સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે, તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકવામાં આવ્યા છે. તદુપરાંત એક 10 બેડનો અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે, તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળેલોકોને ખાસ કરીને જણાવવાનું કે, અત્યારે જે હીટવેવ છે જે 12:00 થી 3:00 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમના માટે સલાહભર્યું છે. તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે. અને જો ઇન કેસ નીકળવું પડે, તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ પણ પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે. તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે. જેથી કરીને પાણીથી લઈને છાસ કે કંઈ પણ પીણાં પીને, પોતાની રીતે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાસ કંઈ પણ પીને બહાર નીકળે જેથી કરીને એને ડિહાઇડ્રેશનના થાય. હાઇડ્રેશનની પૂરતી કાળજી રાખોઆ હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે. અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મેં અગાઉ કીધું તેમ 12:00 થી 3:00 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:16 pm

મુળીમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા અપીલ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન, મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર રાજુ કરપડા સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુળી તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારો તેમજ કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:14 pm

મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઈ રહેલા પોલીસ વાનને અકસ્માત:બોટાદ-સેથળી વચ્ચે અશ્વદળનું વાન પલટી, ઘોડાઓને ઈજા

પોલીસ અશ્વદળનું એક વાન બોટાદથી સેથળી ગામ વચ્ચે પલટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાક ઘોડાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વાન મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાળંગપુર જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અશ્વદળનું વાન પસાર થઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી અન્ય એક વાહન પસાર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે રસ્તા પર વાન પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી સાળંગપુર અને બોટાદના પ્રવાસે આવવાના છે, જેના બંદોબસ્ત માટે આ અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:14 pm

વાંસદાના ભીનાર ગામે કાચા મકાનમાં આગ:ઘરવખરી, બાઈક ખાખ; પરિવારનો આબાદ બચાવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ભાઠેલ ફળિયામાં આવેલા એક કાચા મકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મકાન અને તેમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબુ બહાર ગઈ હતી. આ પ્રચંડ આગમાં મકાનમાં રહેલી ઘરવખરી, અનાજ, પલંગ સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. એટલું જ નહીં, મકાનની પાસે પાર્ક કરેલી એક બાઈક પણ આગની ઝપેટમાં આવી જતાં તે સંપૂર્ણપણે બળી ગઈ હતી. સદનસીબે, જ્યારે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો મકાનની બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ વાંસદા અને ચીખલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર બનાવ અંગે વાંસદા ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આગ લાગવાના કારણો અને થયેલા નુકસાન અંગે પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:03 pm

ભરૂચમાં ચૈતર વસાવાની આગેવાનીમાં બાઈક રેલી:ઝાડેશ્વર ગામના અંબાજી મંદિરથી જંબુસર બાયપાસ ચોકડી યોજાઈ, ધારાસભ્યએ AAPને વિકલ્પ ગણાવ્યા

ગુજરાતમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આ રેલી ઝાડેશ્વર ગામ સ્થિત અંબાજી મંદિર ખાતેથી શરૂ થઈ હતી. આ બાઈક રેલી ઝાડેશ્વરના અંબાજી મંદિરથી પ્રસ્થાન કરીને કસક સર્કલ, શીતલ સર્કલ, ભૃગુઋષિ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબત્તી અને મહમદપુરા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સમાપ્ત થઈ હતી. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં બાઈક સવાર કાર્યકરો જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિવિધ સ્થળોએ રેલીનું સ્વાગત પણ કરાયું હતું. રેલી દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપના ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે. વસાવાએ દાવો કર્યો કે હવે લોકોને વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીમાં જનતા ભારે બહુમતથી 'આપ'ના ઉમેદવારોને વિજયી બનાવશે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવડાવી રાજ્યમાં આશરે 700 બેઠકો બિનહરીફ જીતવાનો પ્રયાસ કરાયો છે. ગણપત વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, વિધાનસભામાં ઉઠાવાયેલા કૌભાંડના મુદ્દાઓને કારણે ભાજપના નેતાઓ વારંવાર તેમના નામનો ઉલ્લેખ કરે છે. મણિપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે ભાજપ પર મહિલાઓના મુદ્દે મૌન રહેવાનો આરોપ પણ મૂક્યો. અંતમાં, તેમણે ભાજપના નેતાઓને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંકતા જણાવ્યું કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાઈક રેલીને લઈને ભરૂચ શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેને ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 3:00 pm

જામનગરમાં બાસ્કેટબોલ મેચ દ્વારા મતદાન જાગૃતિ:ખેલાડીઓ, વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026માં મહત્તમ મતદાન થાય તે હેતુથી એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચનું આયોજન કરીને નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા. આ બાસ્કેટબોલ મેચમાં ભાગ લેનાર ખેલાડીઓ, તેમના વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહી પ્રક્રિયામાં વધુને વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલીયા અને બાસ્કેટબોલ કોચ સુનીલ ઠાકર દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 2:49 pm

ગોધરાના રગડિયા પ્લોટમાં ૩ દિવસથી લો-વોલ્ટેજ:રહીશો પરેશાન, વીજ કેબલમાં આગ લાગી, કાયમી ઉકેલની માગ

ગોધરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની સમસ્યા સર્જાઈ છે. શહેરના રગડિયા પ્લોટ અને હુદા મસ્જિદ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાથી રહીશો પરેશાન છે. આના કારણે ઘરના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા છે. ભર ઉનાળે તાપમાન ઊંચું હોવાથી પંખા અને કુલર ન ચાલતા વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની છે. સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે લોડ વધવા અથવા ટેકનિકલ ખામીને કારણે વીજ કેબલોમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોડી રાત્રે વીજ કેબલ બદલવાની તેમજ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર ઉનાળામાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેઓ કામચલાઉ રિપેરિંગને બદલે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જો વહેલી તકે વીજ ક્ષમતા વધારવામાં નહીં આવે અથવા નવું ટ્રાન્સફોર્મર મૂકવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં લોકોમાં રોષ ફાટી નીકળવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 2:25 pm

જુનાગઢના સિંહો ગિરનારીના ભરોસે ?:સિંહ દર્શનના નામે પજવણીનો 'મેળો', વન વિભાગે હાથ ઊંચા કરતા સિંહ પ્રેમીઓમાં રોષ,દરેક સિંહનું મોનિટરિંગ શક્ય નથી: વન અધિકારીની કબૂલાત બાદ ગિરનારના સિંહો રામભરોસે.

​જૂનાગઢના ગિરનાર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સાથે જ સિંહોની પજવણીના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બિલખા રોડ અને ભવનાથ ક્ષેત્રમાં સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચઢતા હોય છે. સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા વીડિયો વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહ્યા છે. એક તરફ વન વિભાગ સંખ્યા વધારાનો જશ લઈ રહ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સિંહોની સુરક્ષા રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ​વન અધિકારીની ચોંકાવનારી કબૂલાત ​તાજેતરમાં વન વિભાગના અધિકારી (DCF) અક્ષય જોશીએ મીડિયા સમક્ષ વાત કરતા એક એવી કબૂલાત કરી છે જેણે વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. તેમણે સ્વીકાર્યું હતું કે, દરરોજ રાત્રે અમારી એક ટીમ પેટ્રોલિંગ કરે છે અને પજવણી ન થાય તેનું ધ્યાન રાખે છે, પરંતુ આ સંભવ નથી કે દરેક સિંહનું મોનિટરિંગ અમે એ રીતે કરી શકીએ. અધિકારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પાસે પૂરતું સંસાધન કે આયોજન નથી. એટલું જ નહીં વન વિભાગ ના અધિકારીએ તો એ પણ કહ્યું કે જ્યારે જાગૃત નાગરિક કોલ કરે છે ત્યારે વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચે છે સિંહનું રેસ્ક્યુ કરે છે અને સલામત સ્થળે ખસેડે છે. ​બિલખા રોડ પર 'ગેરકાયદે સિંહ દર્શન'નો ખેલ ? ​સિંહ પ્રેમી જયદીપ ઓડેદરાએ વન વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, જૂનાગઢના બિલખા રોડ પર આવેલા ધરનગર ગેટથી ખડીયા સુધીનો વિસ્તાર સિંહોનો મુખ્ય કોરિડોર છે. રાત્રિના સમયે અહીં જાણે મેળો ભરાયો હોય તેટલી ભીડ જોવા મળે છે. આરોપ છે કે અહીં એક સુનિયોજિત સિસ્ટમ દ્વારા લોકોને ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવે છે. વન વિભાગની મિલીભગત હોય કે બેદરકારી, પણ અહીં સિંહોની પજવણી સામાન્ય બની ગઈ છે. જો આ પજવણીના કારણે કોઈ સિંહ માણસ પર હુમલો કરે, તો સિંહને આજીવન કેદ માટે એનિમલ કેર સેન્ટરમાં જવાનો વારો આવે છે, જે અન્યાયી છે. ​સંખ્યામાં 19 ગણો વધારો છતાં વ્યવસ્થા શૂન્ય​વન વિભાગના આંકડા મુજબ, વર્ષ 1990માં ગિરનાર વિસ્તારમાં માત્ર 4 સિંહો હતા, જે 2025ની ગણતરી મુજબ વધીને 54 થયા છે. સંખ્યામાં આ 19 ગણો વધારો ગર્વની વાત છે, પરંતુ તેની સામે સુરક્ષાના પગલાં ઠીંગણા સાબિત થઈ રહ્યા છે. ભવનાથ જેવા પ્રવાસન ક્ષેત્રમાં પણ રજાના દિવસે હજારોની ભીડ વચ્ચે સિંહો રોડ પર આવી જાય છે. થોડા સમય પહેલા જ પાંચ નાકા પુલ પાસે સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કાર સાથે અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. ​સ્થાનિક સિંહ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે બિલખા રોડ અને ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.સવાર અને સાંજના સમયે જ્યારે સિંહોની મૂવમેન્ટ વધુ હોય ત્યારે અનુભવી સ્ટાફ તૈનાત કરવામાં આવે.​પજવણી કરનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.માત્ર આંકડાકીય માયાવી જાળ ફેલાવવાને બદલે સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં તેમની શાંતિ જળવાય તેવા પ્રયાસો થાય. ત્યારે વન વિભાગના અધિકારીએ અક્ષય જોશીએ કબુલ્યુ કે કે દરેક સિંહનું મોનેટરીંગ કરવું શક્ય નથી અને જ્યારે જ્યારે જાગૃત નાગરિક કે સિંહ પ્રેમી સિંહનો મામલે કોલ કરે છે. ત્યારે વન વિભાગ નો સ્ટાફ સ્થળ પર પહોંચે છે જેનો મતલબ થાય છે કે વન વિભાગને ખ્યાલ જ નથી હોતો કે સિંહો કયા અવરજવર કરી રહ્યા છે. ​હાલ તો વન વિભાગ 'સબ સલામત'ના દાવા કરી રહ્યું છે, પણ અધિકારીની 'મોનિટરિંગ શક્ય નથી' વાળી કબૂલાતે સિંહોની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. શું વન વિભાગ જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે ?

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 2:20 pm

મહિલા ડોકટરે પતિ સામે ફરિયાદ નોંધાવી:ડોકટર પતિએ દહેજની માગણી કરી મારકૂટ કરી, 3 વર્ષના પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ

ભાવનગર શહેરના જાણીતા તબીબ દંપતીના ઘરકંકાસનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જાણીતા જોઈન્ટ એન્ટ સ્પાઈન સર્જન ડોકટર નિસર્સ શાહ સામે તબીબ પત્નીએ દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી છે. પતિ જોઈન્ટ એન્ડ સ્પાઈન સર્જન, પત્ની ગાયનેક ડોકટરસમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ મથેકથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તથા મહુવાની એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જોઈન્ટ એન્ડ સ્પાઇન સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર નિસર્ગ પંકજભાઈ શાહના લગ્ન 2019ની સાલમાં શહેરના સરદારબાગ સોસાયટીમાં રહેતી અને સરટી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી મેઘા શાહસાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતા. પાંચ મહિના સુધી આ તબીબ દંપતીનો ઘર સંસાર બરાબર ચાલ્યા બાદ ડોક્ટર નીસર્ગે પોતાનું વાસ્તવિક પોત પ્રકાશ્યું હતું અને પત્ની મેઘાને દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદનિસર્ગ પોતે ડોક્ટર હોવા છતાં દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય અને દારૂ પી પત્ની મેઘાને માર મારતો હોય તથા મેઘાને તેના પિયરમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ લાવવા માટે સતત દબાણ કરતો હોય અને જો દહેજનો સામાન ન લાવે તો ઘર છોડીને જતા રહેવા દબાણ કરતો હોય આ ત્રાસથી કંટાળી ગયેલી મહિલા તબીબે ઘણા સમય સુધી પોતાનો ઘર સંસાર બચાવવા માટે પતિના અત્યાચાર સહન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષના પુત્ર સાથે પત્ની મેઘાને તબીબે ત્યાજી દેતા મેઘાએ પિતાના ઘરનો આશરો લીધો હતો આ વાત પણ નિસર્ગને ખટકતી હોય તેમ અને મેઘા તથા તેના પિતાની આબરૂને ઠેસ પહોંચાડવા માટે કલેકટરને બે વખત પી સી પી એન ડી ટી હેઠળ ખોટી ફરિયાદો કરી હતી. દરમિયાન નિસર્ગ સાથે સમાધાન વાટાઘાટોના પ્રયત્નો નિષ્ફળ નિવડતા અંતે ડોક્ટર મેઘાએ તબીબ નિસર્ગ પંકજ શાહ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 2:15 pm

સાબરકાંઠામાં હજયાત્રીઓનું રસીકરણ પૂર્ણ:881 હજયાત્રીઓને 11 દિવસના સમયગાળામાં રસી આપવામાં આવી

સાબરકાંઠા જિલ્લામાં હજયાત્રીઓ માટેનું રસીકરણ અભિયાન પૂર્ણ થઈ ગયું છે. હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં કુલ 881 હજયાત્રીઓને 11 દિવસના સમયગાળામાં રસી આપવામાં આવી હતી. આ માહિતી હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ આપી હતી. ડૉ. જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, રસીકરણની કામગીરી 9 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ હતી. પ્રથમ તબક્કામાં, સરકારી કોટા હેઠળ હજ પઢવા જતા 343 યાત્રીઓને 9 થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન ચાર દિવસમાં રસી આપવામાં આવી હતી. ત્યારબાદ, ખાનગી ધોરણે હજ પઢવા જનાર 538 હજયાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ યાત્રીઓને 25 ફેબ્રુઆરી 2026 ના રોજ અને પછી 6 એપ્રિલ 2026 થી 22 એપ્રિલ 2026 સુધીના સાત દિવસ દરમિયાન રસી અપાઈ હતી. બુધવારે, રસીકરણના અંતિમ દિવસે 93 હજયાત્રીઓને રસી આપવામાં આવી હતી. આમ, સરકારી અને ખાનગી બંને કોટાના કુલ 881 હજયાત્રીઓને 11 દિવસમાં સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 2:08 pm

સુરતમાં ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂનો આપઘાત:લગ્નની તારીખના દિવસે જ ગળેફાંસો ખાધો, મેરેજના બે મહિના પૂર્ણ થયા'તા

સુરતના સુભાષનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી લીધો છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. નવાઈની વાત એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા અને તે જ દિવસે તેણે મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આપઘાતનું કારણ અકબંધપોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, અકસ્માતે મોતનો ગુનો નોંધાયોસુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ખ્યાતિ અભિષેક કેજરીવાલ નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ઓફિસનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…..

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 2:02 pm

નવસારીમાં કન્ટેન્ટ ક્રિએટર્સને 15 દિવસમાં 60 હજાર કમાણી:ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો સહારો લીધો

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં, પરંતુ શહેરના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ આવકનો મોટો સ્ત્રોત બની છે. ઉમેદવારો દ્વારા ડિજિટલ માધ્યમોના ઉપયોગને કારણે ફોટોગ્રાફર્સ અને વિડિયોગ્રાફર્સને માત્ર 15 દિવસમાં ₹50,000 થી ₹60,000 સુધીની કમાણી થઈ રહી છે. મહાનગરપાલિકામાં હદ વિસ્તરણ બાદ દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા 15,000ને વટાવી ગઈ છે. આટલા મોટા જનસમુદાય સુધી રૂબરૂ પહોંચવું ઉમેદવારો માટે પડકારજનક બન્યું છે. ઉપરાંત, બપોરની ગરમીમાં ડોર-ટુ-ડોર પ્રચાર મુશ્કેલ બનતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ડિજિટલ માધ્યમોનો સહારો લીધો છે. ઉમેદવારો સોશિયલ મીડિયા રીલ્સ, પ્રોફેશનલ ફોટોગ્રાફી અને ડિજિટલ બેનર દ્વારા પ્રચાર કરી રહ્યા છે. આનાથી તેઓ ઓછા સમયમાં વધુ મતદારો સુધી પહોંચી શકે છે અને પોતાના સંદેશને અસરકારક રીતે રજૂ કરી શકે છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર સુનિલ રઘુનાથ પાટીલે જણાવ્યું કે, અમે વોર્ડ નંબર 10માં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છીએ અને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા પ્રમોટ કરાયેલ 'ડિજિટલ ઇન્ડિયા' આજે ખૂબ જ અસરકારક રીતે ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અમે પ્રમોશનની કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં મોબાઈલ દરેકના હાથમાં હોવાથી, ડિજિટલ માધ્યમો જન-જન સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ બન્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:47 pm

સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ:બહારના રાજકીય પદાધિકારીઓને મતવિસ્તાર છોડવા આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એપ્રિલ-2026માં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના દિશાનિર્દેશો મુજબ, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઈ હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 24 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. આ પ્રતિબંધ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન, જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો અને અન્ય પ્રચારકોએ તાત્કાલિક ધોરણે ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી દેવાનો રહેશે. આ જાહેરનામું 24 એપ્રિલ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:41 pm

બ્રેક ફેલ થતા BRTS બસ સોસાયટીમાં ઘૂસી ગઈ, VIDEO:દીવાલને નુકસાન થતા સ્થાનિકોમાં રોષ, બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયો

શહેરના ચાંદખેડા વિસ્તારમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. ફ્લેટની દીવાલ તોડીને બસ અંદર જતી રહેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોકે સવારના સમયે ઘટના બની હતી જેના કારણે પાર્કિંગમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો અને સોસાયટીના લોકોએ બસની ચાવી લઈ લીધી હતી. બસની બ્રેક ન વાગી હોવાના કારણે આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે BRTS તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવશે. બ્રેક ફેલ થતા બસ સોસાયટીની દીવાલમાં ઘૂસી ગઈમળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યાની આસપાસ ચાંદખેડા બીઆરટીએસ બસના સર્વિસ સ્ટેશન ડેપોમાંથી બસ બહાર કાઢી અને લઈ જવામાં આવી રહી હતી. બસ ડેપોમાંથી બહાર નીકળી હતી ત્યારે પ્રહલાદ પાર્ક પાસે બસ પહોંચતા તેની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે બસ રોડ પરથી સીધી ફ્લેટના દિવાલ તરફ અથડાઈ ગઈ હતી. બસ ફ્લેટની દિવાલ તોડી અને ફ્લેટના મુખ્ય ભાગ પાસે અથડાઈ હતી જેના કારણે થઈને ફ્લેટનું ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે જોરદાર અવાજ આવવાની સાથે જ સ્થાનિક લોકો દોડીને બહાર આવી ગયા હતા. બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયોઅમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાવેલ ટાઈમ ઓપરેટરની બસ હતી અને જે પણ નુકસાન થયું છે તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે કરીને આપશે. બસ ઓપરેટરને 2 લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડનું વર્કશોપ આવેલું છે જે વર્કશોપમાં બસ ના કારણે અકસ્માતની આ ચોથી ઘટના બની છે અગાઉ પણ ત્રણથી ચાર વખત અકસ્માતની ઘટના બની છે. BRTS તંત્ર દ્વારા અગાઉ પણ આવી ઘટના બનતા દીવાલ ફરીથી બનાવી દેવામાં આવે છે પરંતુ આ વખતે પણ આ ઘટના બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નવી દીવાલ બનાવી દેવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:37 pm

અમરેલી SP સંજય ખરાતે 18 અરજદારોને રૂબરૂ બોલાવ્યા:સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરી

અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન એક અનોખી પહેલ કરી હતી. તેમણે કુલ 18 ભોગ બનનાર અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરી અને તેમની અરજીઓ પર થયેલી કાર્યવાહી અંગે સીધી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન, SP ખરાતે અરજદારો સાથે કલાકો સુધી વાર્તાલાપ કર્યો હતો. તેમણે અરજીઓમાં થયેલી તપાસની કામગીરી અને કાર્યવાહી અંગે અરજદારોનો સંતોષ કે અસંતોષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્રજા પ્રત્યે પોલીસની ફરજને વધુ મજબૂત બનાવવાનો હતો. ચર્ચા દરમિયાન, અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને પારિવારિક સમસ્યાઓ જેવી વિવિધ પ્રકારની અરજીઓ રજૂ થઈ હતી. SP ખરાતે દરેક અરજીમાં થયેલી તપાસ અને કામગીરી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કેટલીક અરજીઓ બાબતે, SP સંજય ખરાતે સંબંધિત અધિકારીઓને યોગ્ય, નિષ્પક્ષ અને સમયસર તપાસ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પહેલથી અરજદારોને સીધો ન્યાય મળવાની આશા જાગી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:37 pm

ભાજપના હાઈ પ્રોફાઇલ સોસાયટીના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:વડોદરા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ખેસ પહેરાવીને આવકાર્યા

મહાનગરપાલિકાની ચૂંટણી માટે હાલ રાજકીય રંગ જામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે પક્ષ પલટાની પણ મોસમ જામે છે. વડોદરા શહેરમાં વોર્ડ 16માં ભાજપ સાથે સંકળાયેલા 200 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તેઓને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. હાઈપ્રોફાઇલ સોસાયટીના 200 કાર્યકરો કોંગ્રેસમા જોડાયાશહેરના રાજકીય વાતાવરણમાં એક મોટો ગરમાવો જોવા મળ્યો છે, ખાસ કરીને વોર્ડ નંબર 16માં ભાજપના 200 થી વધુ સક્રિય કાર્યકરો અને અગ્રણીઓએ પક્ષનો છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ પક્ષપલટાની પ્રક્રિયા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સીધી આગેવાની હેઠળ યોજાઈ હતી. તેમની હાજરીમાં ભાજપના કાર્યકરોએ કેસરી ખેસ ત્યાગીને કોંગ્રેસનો તિરંગો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના ગઢમાં ગાબડુંવોર્ડ 16ના આ ફેરફારમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વિસ્તારની અત્યંત હાઈ-પ્રોફાઈલ ગણાતી સોસાયટીઓ, જેવી કે શ્રીનાથ અરાઈઝ, વિસ્ટેરિયા હાઇટ્સ, કેશર ઓરિયન અને આરાધ્યા આંગન જેવી સોસાયટીઓના પ્રમુખો અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સોસાયટીઓના સમર્થનથી કોંગ્રેસ હવે આ વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી હોય તેમ જણાય છે. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવથી રોષસ્થાનિક રહીશોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા રહીશોનો મુખ્ય આરોપ છે કે છેલ્લા 2 વર્ષથી તેઓ રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા. તેમ છતાં, ભાજપના સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય દ્વારા તેમની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપેક્ષાને કારણે રહીશોએ અંતે ભાજપનો સાથ છોડી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવાનો નિર્ણય કર્યો છે. વિસ્તારમાં ભવ્ય ગરબા મેદાન બનાવવા માગનવા જોડાયેલા તમામ રહીશો અને કાર્યકરોને આવકારતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ખાતરી આપી હતી કે તેમની તમામ સમસ્યાઓનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે. આ પ્રસંગે તેમણે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની માતા-બહેનોની સુવિધા માટે અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે સ્થાનિક સ્તરે જ એક ભવ્ય ગરબા મેદાન તૈયાર કરી આપવામાં આવશે. આ જાહેરાતથી સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:27 pm

બાલાસિનોર GIDCના ભંગારના ગોડાઉનમાં આગ:આસપાસના વિસ્તારમાં અફરાતફરી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો, ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ

મહીસાગરના બાલાસિનોર GIDC ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતા જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ બે ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:24 pm

બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ:એક જ વ્યક્તિ 50-50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 5 સામે ફરિયાદ નોંધવા દેસાઈની અરજી

અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો હતો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50 - 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા પોલીસ અરજી કરી છે. જેમાં હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અરજી કરવામાં આવી છે. જોકે હોમગાર્ડની ઓફિસને તાળું મારીને ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. એક જ વ્યક્તિ 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપકોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર પર એક જ વ્યક્તિ 50થી 60 સિક્કા મારવામાં આવતા હતા. જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતાં. તેમજ તપાસ કરવા ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો હતો. જો કે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની કોંગ્રેસે માંગ કરીકોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. જેમાં પંકજ રાઠોડ, ગૌતમ પરમાર, વિજય જાદવ બેલેટ પેપરમાં સિક્કા મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ અને જવાબદાર ચૂંટણી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. 'અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે'કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બેલેટ પેપરમાં સિક્કા મારતા હતા. જેમાં માત્ર હોમગાર્ડનું જ મતદાન થતું હતું. તેમજ હોમગાર્ ના વડા બંધારણીય રીતે સરકારના કાર્યકરો છે. અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે. ગઈકાલે એક વ્યક્તિ 50થી 60 સિક્કા મારતા હતા. જેથી તપાસ કરવા માટે અમે અંદર ગયા અને વીડિયો ઉતારીને પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી તો હતા જ નહીં. જેથી વોર્ડના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં. જેથી મટીરીયલનો નાશ ન થાય તે માટે તાળું મારી દેવામાં આવ્યું હતું. જે બાદ તેની ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી વગર જ ખોટી રીતે બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. 'સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ'વધુમાં નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસ અધિકારી યોગ્ય રીતે તપાસ કરે તો ઘણું બધું સામે આવી શકે છે. અધિકારી હાજર ન હોવા છતાં મટીરિયલ કઈ રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે. સિક્કા મરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ચૂંટણી પંચના અધિકારી વગર મતદાન ન થઈ શકે તો આટલી હદે ખોટું ચાલી રહ્યું છે. હોમગાર્ડ ઓફિસમાં જ જો આ રીતે ખોટું ચાલતું હોય તો અમારું માનવું છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પોલીસ ફરિયાદમાં ત્રણ સિક્કાવાળા વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી છે. હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જવાબદાર ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે માટે પાંચ નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો સાચી હકીકત સામે આવશે. કોઈનો મત અન્ય કોઈ વ્યક્તિ આપી દે તે સૌથી મોટું પાપ છે. નિષ્પક્ષ તપાસ થશે તો ઘણા બધા લોકો જેલમાં પણ જશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:15 pm

પાટણમાં હનીટ્રેપ ટોળકી ઝડપાઈ, જીવનસાથી એપથી ફસાવતા:પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

પાટણ પોલીસે રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવતી હતી. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરવા એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણજી કનુજી માધાજી ઠાકોર (રહે. ખિમિયાણા, પાટણ), દિનેશભાઇ હિરાભાઇ મેવાભાઇ રબારી (રહે. લેલાવા, બનાસકાંઠા) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ, ટોળકીની એક મહિલા સભ્ય 'જીવનસાથી' એપ પર ખોટા નામથી ફેક એકાઉન્ટ બનાવી લગ્ન કરવા ઈચ્છુક પુરુષોનો સંપર્ક કરતી હતી. ત્યારબાદ મહિલા તેને કોઈ અંતરિયાળ વિસ્તારમાં મળવા બોલાવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે અન્ય આરોપીઓ ત્યાં આવી પોતે મહિલાના ભાઈ હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને માર મારી અને ધમકાવીને મોટી રકમની માંગણી કરતા હતા. જો નાણાં ન મળે તો તેને બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરતા અને રકમ મળી ગયા બાદ તેને છોડી મુકતા હતા. રણુંજ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.ટી.ગઢવી અને સ્ટાફના માણસોએ આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 1:10 pm

હારીજમાં વેપારી લૂંટ કેસ ઉકેલાયો, 6 આરોપી ઝડપાયા:2.80 લાખની લૂંટ કરનાર ગેંગના 5 આરોપી મધ્યપ્રદેશના

હારીજ ટાઉન પોલીસ મથકની હદમાં વેપારી પાસેથી છરીની અણીએ 2.80 લાખની લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. હારીજના મેઈન બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા જયંતિલાલ ભુરાલાલ ઠક્કર રાત્રિના સમયે પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે બે અજાણ્યા ઇસમોએ તેમને આંતરી છરી બતાવી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ વેપારીના થેલાના પટ્ટા છરીથી કાપીને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ જિલ્લા પોલીસ વડા અને હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મહેરીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ હારીજમાં રહી ચુકેલો અને હાલ વિસનગરમાં રહેતો દીપક સિંધી નામના શખ્સે બહારથી માણસો બોલાવી આ લૂંટને અંજામ આપ્યો છે. બાતમીના આધારે વિસનગર ખાતે શ્રીનાથનગર સોસાયટીમાં તપાસ કરતા દીપક સિંધી તેના ઘરે અન્ય સાગરીતો સ્નેહલ શાહ, સંજુ ડોડિયા, વરૂણ પ્રજાપત, ચિરાગ બસોડ અને જય બલૈઈ સાથે મળી આવ્યો હતો. પોલીસે આ તમામ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ 2.50 લાખ, 5 મોબાઈલ ફોન, 1 એક્ટિવા, 1 મોટરસાયકલ અને 2 નંબર પ્લેટ મળી કુલ 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લૂંટમાં વપરાયેલ મોટરસાયકલ હિંમતનગરના મોતીપુરા બ્રિજ પાસેથી અને એક્ટિવા ગાંધીનગરના રાંધેજા પાસેથી ચોરી કરવામાં આવ્યું હતું. આ વાહન ચોરી અંગે પણ હિંમતનગર અને પેથાપુર પોલીસ મથકે ગુના નોંધાયેલા છે. પકડાયેલા 6 આરોપીઓ પૈકી દીપક સિંધી સિવાયના તમામ 5 આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રામુ ઠાકુરને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:55 pm

રાજકોટમાં પ્રદૂષિત પાણીનો કહેર !:માર્ચમાં મનપા દ્વારા લેવાયેલા નમૂનાઓ પૈકી પાંચ સ્થળે બેક્ટેરિયા મળ્યા, શુદ્ધ પાણી વિતરણનાં તંત્રનાં દાવાઓ સામે પ્રશ્નાર્થ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરિનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 5 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, બીજીતરફ દૂષિત પાણીને લઈ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ તંત્ર દ્વારા ગત માર્ચ માસ દરમિયાન શહેરના ત્રણ ઝોન વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાંથી કુલ 8901 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં રેસિડ્યુઅલ ક્લોરિનના કુલ 8577 નમૂના, બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 295 નમૂના અને કેમિકલ એનાલિસિસ માટે 29 નમૂનાનો સમાવેશ થાય છે. આ નમુનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાંથી લેવાયેલા 149 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી 5 સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા 75 નમૂનાઓ પૈકી 2 સ્થળે નમૂના ફેઈલ ગયા છે. આમ, શહેરના કુલ 7 જેટલા સ્થળોએ પાઈપલાઈન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે. મહાપાલિકા દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા નમૂના રેસિડ્યુઅલ ક્લોરિન નમૂના 8577 બેક્ટેરિયોલોજીકલ નમૂના 295કેમિકલ સેમ્પલ 29કુલ નમૂના 8901વેસ્ટ ઝોન: 149 માંથી 5 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા.સેન્ટ્રલ ઝોન: 75 માંથી 2 નમૂનામાં બેક્ટેરિયા મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન પાણીની પાઈપલાઈનમાં લીકેજ અથવા ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. જો ક્લોરિનેશન યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આ પાણી રોગચાળાનું મુખ્ય કારણ બને છે. રાજકોટ જેવા મહાનગરમાં જ્યાં લાખો લોકો મનપાના પાણી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે તેમ છે. હાલમાં જ્યારે 7 સ્થળે બેક્ટેરિયા મળી આવ્યા છે, ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે જે-તે વિસ્તારોની પાઈપલાઈન ચેક કરવી જોઈએ અને ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સમગ્ર મામલે મહાપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં નમૂના ફેલ ગયા છે ત્યાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પાઈપલાઈનમાં જો ક્યાંય ભંગાણ હોય તો તેને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પમ્પિંગ સ્ટેશનો પર ક્લોરિનેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રહીશોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય તો તુરંત મનપાના કંટ્રોલ રૂમમાં જાણ કરવી જેથી તરત પગલાં લઈ શકાય. આગામી અઠવાડિયામાં ફરીથી આ બધા વિસ્તારોમાંથી રિ-સેમ્પલિંગ કરી ફરી પાણીની શુદ્ધતાની ખાતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને આચારસંહિતા અમલી છે, ત્યારે નાગરિકોનો આરોપ છે કે તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યું છે. અનેક વોર્ડના રહીશો લાંબા સમયથી વાસવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા હસ્તકના ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે જળ વિતરણ વ્યવસ્થામાં પ્રદૂષણ ભળે છે. દૂષિત પાણીના વપરાશને કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીની આચારસંહિતાનું બહાનું ધરીને મનપા દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:54 pm

જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, ફટાકડા ફોડ્યા:MLA દેવા માલમની હાજરીમાં જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાએ કાયદાની ઐસીતૈસી કરી દીધી, પોલીસ ગુનો ક્યારે નોંધશે?

જૂનાગઢના કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ કેક કાપવામાં આવી, ફટાકડાં ફોડ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતાં. જેના કારણે સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ જાગી છે. આ કાર્યક્રમમાં માત્ર જિલ્લા પ્રમુખ જ નહીં પરંતુ કેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિત અનેક ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા. કેશોદ એસપી બી. સી. ઠક્કર સાથે ભાસ્કરે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરશું. શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ શું બર્થ ડે ઉજવણીમાં કાયદા ભૂલ્યા? સામાન્ય રીતે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જવાબદાર હોદ્દેદારો જ્યારે જાહેર માર્ગો પર આ પ્રકારે એકત્રિત થઈને ઉજવણી કરે તો સ્થાનિકોમાં સવાલો ઉભા થયા છે. એક તરફ જ્યારે વહીવટી તંત્ર દ્વારા કડક નિયમોના પાલનની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે સત્તાધારી પક્ષના જ જવાબદાર પ્રતિનિધિઓની હાજરીમાં ફટાકડા ફોડીને જાહેરમાં ધાંધલ-ધમાલ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફટાકડાના ગુંજતા અવાજો અને રસ્તા પર લાગેલી ભીડને કારણે મોડી રાત્રે શાંતિનો ભંગ થયો હતો અને કાયદાનું જાહેરમાં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. પોલીસ સામાન્ય લોકો પાસે માફી મગાવતા વીડિયો બનાવતી હોય છે​સૌથી મોટો પ્રશ્ન અત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યો છે. અગાઉ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરે કે હરકત કરે ત્યારે પોલીસ તુરંત હરકતમાં આવી જતી હોય છે. ઘણીવાર તો પોલીસ આવા સામાન્ય લોકો પાસે માફી મંગાવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતી હોય છે જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય. પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તેના પર સૌની નજરપરંતુ અહીં સવાલ એ છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? જ્યારે પ્રભાવશાળી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને શું કાયદાની મર્યાદા ઓળંગી?. કેશોદના ચાર ચોકમાં થયેલી આ ઉજવણીના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ હવે લોકો પોલીસના આગામી પગલાની રાહ જોઈ રહ્યા છે. શું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે ગુનો નોંધશે કે પછી રાજકીય દબાણ હેઠળ આ મામલે આંખ આડા કાન કરવામાં આવશે તે જોવાનું રહ્યું. પોલીસ આવા કેસોમાં જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ ગુનો નોંધીને કાયદાને અનુસંધાને કામ કરતી હોય છે. પરંતુ શું જૂનાગઢ પોલીસ શિસ્તબદ્ધ ભાજપના નેતાઓ અને બર્થડે ઉજવણીમાં સામેલ લોકો પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ પણ વાંચો 1 મહિના પહેલા કારના રૂફ અને બોનેટ પર બેસી ABVPના કાર્યકર્તાઓએ રેલી યોજી 1 મહિના પહેલાં જૂનાગઢ ABVPમાં હોદેદારોની નિયુક્ત થયા બાદ યોજવામાં આવેલી રેલીમાં કાયદાના ધજાગરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢની ભેંસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓએ કારના બોનેટ અને રૂફ પર બેસી જોખમી રીતે રેલી યોજતા સવાલો ઉઠ્યા હતાં. સોશિયલ મીડીયામાં જે હોદેદારોના વીડિયો વાઈરલ થયા, તેમાં કેટલાક રાજકીય આગેવાનોના સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઈને પણ તાલુકા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી ભીનું સંકેલી લીધું હતું, કારણ કે આ ઘટનામાં પણ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો દીકરો મુખ્ય હોવાની વિગત મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:53 pm

નાસિક ધર્માંતરણ પ્રયાસ: વલસાડમાં હિન્દૂ સંગઠનોનો આક્રોશ:બજરંગ દળ સહિતના સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું

મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દૂ યુવતીઓને નોકરીની લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરાયાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વલસાડ જિલ્લા બજરંગ દળ અને વિવિધ હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આકરી નિંદા કરી હતી. મળતી માહિતી મુજબ, નાસિકની એક જાણીતી આઈટી કંપની (TCS) માં નોકરી કરતી હિન્દૂ યુવતીઓને નિશાન બનાવી લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. હિન્દૂ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીઓને હિજાબ પહેરવા અને ગૌમાંસ ખાવા દબાણ કરીને તેમનું ધર્માંતરણ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. વલસાડ બજરંગ દળના સંયોજક સમીપ સુરવે જણાવ્યું હતું કે, 'દેશભરમાં હિન્દૂ દીકરીઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. નાસિકની ઘટના અત્યંત નિંદનીય છે.' તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દુર્ગાવાહિનીના પ્રખંડ સંયોજિકા વિપાસા રાઠોડે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આજની ભણેલી-ગણેલી દીકરીઓને પણ જિહાદીઓ નિશાન બનાવી રહ્યા છે. આ એક 'કોર્પોરેટ જેહાદ' છે.' આવેદનપત્રમાં જણાવાયું છે કે જો આવી ઘટનાઓ અટકશે નહીં તો આગામી દિવસોમાં હિન્દૂ સંગઠનો ઉગ્ર આંદોલન કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો 'જય શ્રી રામ'ના નારા સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:48 pm

ગોધરાના રાટા પ્લોટમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ:ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, કાબૂ મેળવવા પ્રયાસો ચાલુ

ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાદલાના ગોડાઉનમાં રૂ હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી હતી.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના બે ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક આવેલું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:42 pm

સરસિયા તળાવની ગંદકી બતાવી તો 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા:સ્થાનિકે 'રામના 10 નામ બોલી બતાવો' કહેતા જ ભાજપના ઉમેદવારો મૂઠ્ઠીઓ વાળી ભાગ્યા

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પાસે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ ભાજપના ઉમેદવારોને બરાબરના ઉધડો લીધા છે. વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિકે તળાવમાં ફેલાયેલી ગંદકી બતાવતા ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. જેથી સ્થાનિકોએ પૂછ્યું હતું કે, 'રામના 10 નામ બોલી બતાવો'. તેમજ સવાલોનો મારો ચલાવતા ઉમેદવારોએ ભાગવું પડ્યું હતું. ભાજપના ઉમેદવારો ધરતીબેન સોની, અનિતાબેન વિરપુરા, રણજીત રાજપુત અને પવન હેમનાની પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન તેઓ સરસિયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક નાગરિકોએ તળાવની હાલત અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ તળાવમાં ફેલાયેલી ગંદકી, અયોગ્ય સફાઈ અને લાંબા સમયથી બાકી રહેલા વિકાસ કાર્યો અંગે સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન સાથે આવેલા ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા, ત્યારે એક નાગરિકે વિરોધ દર્શાવતા ઉમેદવારો અને કાર્યકરોને પ્રશ્ન કર્યો કે “રામના 10 નામ બોલી બતાવો.” આ નિવેદનથી ત્યાં થોડીવાર માટે ઉમેદવારો શરમમાં મૂકાવા જેવું થયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પ્રચાર સમયે માત્ર નારા લગાવવાથી નહીં, પરંતુ વિસ્તરના વાસ્તવિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી છે. તળાવની ગંદકી અને આસપાસની અણઘડ પરિસ્થિતિને લઈને નાગરિકોમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:37 pm

ચૂંટણી આયોગે ઓનલાઈન પોર્ટલ કર્યું કાર્યરત:મતદારો ઘરે બેઠા મેળવી શકશે વોર્ડ-બૂથની માહિતી

રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય ચૂંટણી-2026 માટે મતદારોની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ મતદારો મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ, વોર્ડ નંબર અને મતદાન મથક જેવી પાયાની વિગતો ઓનલાઈન મેળવી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદારનું નામ સ્થાનિક સ્વરાજ્યની મતદારયાદીમાં હોવું ફરજિયાત છે. મતદારોને ઘણીવાર તેમના મતદાન મથક અથવા વોર્ડ અંગે મૂંઝવણ થતી હોય છે. આ સમસ્યા દૂર કરવા આયોગે ઓનલાઈન સર્ચ એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે, જેના દ્વારા મતદાન મથકનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે, મતદારોએ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ https://secsearch.gujarat.gov.in/search/default.aspx ની મુલાકાત લેવી પડશે. પોર્ટલ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રથમ વિકલ્પ 'નામ દ્વારા શોધ' છે. જો EPIC નંબર ઉપલબ્ધ ન હોય, તો મતદારો પોતાનું નામ, પિતા કે પતિનું નામ, અટક, જિલ્લો, તાલુકો અને વિસ્તાર પસંદ કરીને માહિતી શોધી શકે છે. બીજો વિકલ્પ 'EPIC નંબર દ્વારા શોધ' છે. મતદાર ઓળખપત્ર પર લખેલો આલ્ફા-ન્યુમેરિક EPIC નંબર દાખલ કરીને સીધી જ વિગતો મેળવી શકાય છે. સર્ચ બટન પર ક્લિક કર્યા પછી, મતદારનું નામ, પિતા/પતિનું નામ, વોર્ડ નંબર, મતદારયાદીનો ભાગ નંબર, ક્રમ નંબર, તેમજ મતદાન મથકનું નામ અને સરનામું સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ મતદારોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. મતદાનના દિવસે છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન થાય તે માટે નાગરિકોને અત્યારથી જ આ પોર્ટલ દ્વારા પોતાની વિગતો ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં કોઈ પણ લાયક મતદાર મતાધિકારથી વંચિત ન રહે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:36 pm

ચારુસેટ RPCPનો 22મો વાર્ષિકોત્સવ ઉજવાયો:ડો. વિરાંચી શાહ અને ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન

ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)નો 22મો વાર્ષિકોત્સવ 15 એપ્રિલ, 2026ના રોજ ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સાગા લાઈફ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર અને IDMAના નેશનલ સ્પોક્સપર્સન ડો. વિરાંચી શાહ તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, માનદ મંત્રી ડો. એમ.સી. પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ અને સહમંત્રી મધુબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનિત પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. RPCPના પ્રિન્સિપાલ ડો. મનન રાવલે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં અભ્યાસક્રમ, સહ-અભ્યાસક્રમ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તેમજ સંશોધનમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સની સિદ્ધિઓ અને સીમાચિહ્નોને આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન ડો. વિરાંચી શાહે યુનિવર્સિટી અને સંસ્થાના વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે AI અને IOના પરિવર્તનકારી પ્રભાવ, બાયોસિમિલર્સમાં નવીનતાઓ તેમજ વિઝન 2047 માટેના રોડમેપ વિશે સંબોધન કર્યું હતું. તેમણે સ્વસ્થ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં ગ્લોબલ કમ્પ્લાયન્સ સેન્ટર (GCC) અને GCC પાર્કની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. અતિથિવિશેષ ભરતભાઈ પટેલે સંસ્થા અને યુનિવર્સિટીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજના આરોગ્ય માટે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અને તેમાં ફાર્માસિસ્ટની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તેમની સિદ્ધિઓ બદલ એવોર્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ફેકલ્ટી મેમ્બર્સને પણ તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે બી.ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ધૈર્ય શાહ અને પંક્તિ પટેલે વિદાય પ્રવચન આપ્યું હતું. વાર્ષિકોત્સવના કો-ઓર્ડીનેટર ડો. નિલય સોલંકી દ્વારા આભારવિધિ સાથે સમારંભનું સમાપન થયું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:32 pm

કોંગ્રેસની રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત:સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટ ન ફાળવવાના નિવેદન મામલે કાર્યવાહી કરવા માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ પત્રમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં યોજાયેલ જાહેર સભામાં આપેલા નિવેદનોથી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે. કોંગ્રેસના પત્ર મુજબ, 20 એપ્રિલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ મતદારોને પ્રભાવિત કરવા માટે સરકારી સહાય અને ગ્રાન્ટ બાબતે ભ્રામક અને પ્રલોભન આપતા નિવેદનો આપ્યા હતા. કોંગ્રેસે આ નિવેદનને ગંભીર ગણાવી જણાવ્યું છે કે આવી ભાષા ચૂંટણી પ્રક્રિયાને અસર કરે છે અને મતદારો પર અયોગ્ય દબાણ સર્જે છે. તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં માંગપત્રમાં વધુમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે, છતાં ભાજપના નેતાઓ દ્વારા જાહેરમાં આવા નિવેદનો આપવામાં આવતાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થાય છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે. ‘મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ’કોંગ્રેસે માંગણી કરી છે કે આ પ્રકારના નિવેદનો દ્વારા મતદારોને ભયભીત કરવા અથવા લોભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે. અંતે, કોંગ્રેસે ચૂંટણી આયોગને નિષ્પક્ષતા જાળવવા માટે સખત કાર્યવાહી કરવાની અપીલ કરી છે. શું કહ્યું હતું સાંસદે?જાહેર સભામાં સંબોધન કરતાં સાંસદ મિતેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આંકલાવ વિસ્તારમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતશે તો તે વિસ્તારોને ગ્રાન્ટ આપવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એકપણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેઓ એક રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર નહીં થવા દે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 12:23 pm

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો? ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક, હોર્મુઝમાં તણાવ વધ્યો

(IMAGE - IANS) Global Crude Oil Prices: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગઈ છે.

ગુજરાત સમાચાર 22 Apr 2026 12:21 pm

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો

Vaishno Devi Temple Silver Scam: હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર 5-6% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે. રૂ.

ગુજરાત સમાચાર 22 Apr 2026 11:53 am

યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ

(IMAGE - IANS) Lufthansa flight Cancellations: ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સા(Lufthansa) એ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સમાચાર 22 Apr 2026 11:45 am