અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીની વધતી જતી ફરિયાદો અને એર ક્વોલિટીને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓનો ઉઘળો લઈ લીધો હતો. પ્રદૂષિત પાણી મામલે નક્કર કાર્યવાહીના પગલે માત્ર સ્ટાફને સૂચના આપી છટકી જતા પૂર્વ ઝોનના એડિશનલ અધિકારીને શો- કોઝ નોટિસ આપવામાં આવી છે. શહેરમાં આવેલી ચાલીઓ અંગે 6 મહિનાથી લિસ્ટ આપવા માટેની સૂચના છતાં પણ લિસ્ટ ન આપવા બદલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને શો-કોઝ નોટિસ આપવા સૂચના આપી હતી. શહેરમાં ચાલીઓ સ્લમ વિસ્તારોમાં ખાનગી બોર પર ડોઝર મશીન લગાવીને ક્લોરિનેશનની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. મ્યુ. કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો7 જાન્યુઆરીના રોજ મળેલી રીવ્યુ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા, લાંભા, બહેરામપુરા, સરસપુર, અમરાઈવાડી, વસ્ત્રાલ વગેરે વિસ્તારોમાં પેટને લગતી બીમારીના કેસોમાં વધારો અને પાણીમાં ક્લોરિન નિલ આવવાની બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં નહીં લેવા બદલ અધિકારીઓનો ઉધડો લીધો હતો. શહેરમાં પ્રદૂષિત પાણી અને પાણીજન્ય રોગો ધરાવતા 26 જેટલા હાઈરિસ્ક એરિયા માટે કેમ કોઈ પગલાં લેવાતા નથી? તેવો પ્રશ્ન કરીને ચાલીઓ, સ્લમ વિસ્તારોમાં આવેલા પ્રાઈવેટ બોર તેમજ સોસાયટીઓના બાર પર ક્લોરિનેશન માટે ડોઝર મશીન લગાવવા સૂચના આપી હતી. કમિશનરે પાણીપુરીના સેમ્પલ લેવા તાકીદ કરીતાજેતરમાં સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના સેમ્પલ લેવા મામલે શહેરમાં કેટલાં પાણીપુરીના ઉત્પાદકો, વેપારીઓ છે? તેવો પ્રશ્ન કરતાં અધિકારીએ જવાબ આપ્યો હતો કે, એક હજાર જેટલા પાણીપુરી વેચનાર હશે. પાણીપુરીના કેટલાં સેમ્પલ લેવાયા? તેવા સવાલો કર્યા હતા. કમિશનરે પાણીપુરીના સેમ્પલ લેવા તાકીદ કરી હતી. પાણીના કેરબા જગમાં ક્લોરિનેશન થતું નથી અને પાણીના જગ- કેરબામાં પ્રદૂષિત પાણી જોવા મળે તો તેને કાયમી ધોરણે બંધ કરી દેવા તાકીદ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના ભાગરૂપે શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા ખાસ ધ્યાન આપવા અને ડસ્ટ ફ્રી રોડ બનાવવા સહિત પગલાં લેવા સૂચના આપી હતી.
ગાંધીનગર સેક્ટર-4માં પરિવાર સાથે બપોરે ખુશી-ખુશી જમ્યા બાદ અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં પંખે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપત્મહત્યા કરી લેતા સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર સાથે જમ્યા બાદ યુવક પોતાના રૂમમાં ગયોપોલીસ સૂત્રોના અનુસાર, સેક્ટર-4/એમાં મકાન નંબર 83/2 માં રહેતા અનસ અબ્દુલરશીદ પટેલના ઘરે બપોરના સમયે સામાન્ય માહોલ હતો. અનસ તેની વૃદ્ધ દાદી, માતા સલમાબેન જમ્યો હતો. જમ્યા બાદ પરિવારના સભ્યો વાતોએ વળગ્યા હતા. જ્યારે અનસ બીજા રૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. ત્યારે પરિવારને અંદાજ નહોતો કે દરવાજો બંધ કરનાર અનસ હવે ક્યારેય જીવતો બહાર આવશે નહીં. રૂમની બારીમાંથી જોતા યુવક પંખે લટકતો જોવા મળ્યોઘણો સમય વીતવા છતાં અનસના રૂમમાંથી કોઈ પ્રત્યુતર ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ અવાજ ન આવતા અંતે બારીની ગ્રીલમાંથી અંદર જોવામાં આવ્યું હતું. ત્યારે અંદરનું દૃશ્ય જોઈ પરિવારના સભ્યોની ચીસ નીકળી ગઈ હતી. અનસે પલંગની ચાદરને પંખા સાથે બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સેક્ટર-7 પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઆ અંગે સેકટર 7 પોલીસે કહ્યું કે, મૃતકનો મોટો ભાઈ સાહિલ ડિજિટલ માર્કેટિંગની નોકરી કરે છે. જ્યારે તેની માતા સલમાબેન ઘરકામ કરે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર અનસના આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. 21 વર્ષના યુવાને કયા માનસિક તણાવ કે કારણસર આ પગલું ભર્યું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવાર અને મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.
સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા પાંચ વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ મળી કુલ 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે 48 કલાક બાદ ગવીયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. SOG ટીમનો મધરાતે દરોડોSOGના હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાતે આલિયા બેટ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. બેટ પર તપાસ કરતા ઝાડી-ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લિટર શંકાસ્પદ ડીઝલ હતું. ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીઓમાંથી વધુ 10,400 લિટર ડીઝલ મળી આવ્યું હતું. કેવી રીતે ચાલતું હતું રેકેટ?પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આરોપીઓ છેલ્લા 5 વર્ષથી સુરતના દરિયાઈ વિસ્તારમાં આવતી દેશ-વિદેશની સ્ટીમરોના ચાલકો સાથે સંપર્ક કરી, માલિકની જાણ બહાર ચોરી કરતા અથવા ધાક-ધમકી આપી ડીઝલ કઢાવી લેતા હતા.ચોરીનું ડીઝલ હોડીઓ દ્વારા આલિયા બેટ પર લાવી સંગ્રહ કરવામાં આવતું. રાત્રિના અંધકારનો લાભ લઈ આ જથ્થો વિવિધ કંપનીઓ કે ડેપોમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવતો હતો. પોલીસ કમિશનરની કડક કાર્યવાહીઆ ટોળકીના સભ્યો માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત કરતું નહોતું. હજીરા પોલીસમાં 15 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 15 આરોપીઓ સામે ગુનો દાખલપોલીસે ગવીયરના રાજેશ મોહન પટેલ, તેજશ લાલજી પટેલ, ડુમસના જેમીશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય, ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7-8 અજાણ્યા શખસો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ગત મોડી રાત્રે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. હોસ્પિટલના પાંચમા માળે એક નશામાં ધૂત યુવકે ચડી જઈને આપઘાતનો પ્રયાસ કરવાની ધમકી આપતા સમગ્ર હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના સગાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝૂમ બરાબર ઝૂમ શરાબી જેવી હાલતમાં રહેલા આ યુવકે લગભગ એક કલાક સુધી હોસ્પિટલને બાનમાં લીધી હતી. જોકે, એક કલાકની જેહમત બાદ પોલીસ-સિક્યુરિટીએ નીચે ઉતાર્યો. જ્યારે દારુડિયાને લઈ જઈ રહ્યા હતા ત્યારે બોલ્યો કે, ‘તમે બધા જયરાજસિંહના માણહ છો ને મને મારતા નહી’ દારુડિયાએ વીડિયોમાં શું કહ્યું?‘તમે બધા જયરાજસિંહના માણહ છો ને મને મારતા નહી’હા ઉતારી લ્યો વીડિયો, મારા દલિત ભાઈઓ ભેગા છે હું નમ્ર વિનંતી કરુ છુ કેટલાક લોકો મારા ભેગા છે એટલે હું આત્મવિલોપન કરવા માગતો નથી બાકી ઠેકડો મારી ગયો હોત, સમજાઈ ગયું. શોલે ફિલ્મના સીન જેવો સર્જાયો માહોલજૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે અચાનક હોબાળો મચી ગયો હતો. એક શખસ નશાની હાલતમાં હોસ્પિટલના પાંચમા માળે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે બારી કે ગેલેરીના છેડે ઊભા રહી નીચે કૂદકો મારવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ દૃશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર દર્દીઓના સગા-સંબંધીઓ અને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે, જાણે 'શોલે' ફિલ્મનો વીરુ ટાંકી પર ચડ્યો હોય એવો જ નજારો અહીં પાંચમા માળે જોવા મળ્યો હતો. પોલીસ અને સિક્યુરિટીએ યુવકને નીચે ઉતાર્યો આ ઘટનાની જાણ થતા જ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ, હોમગાર્ડના જવાનો અને ત્યાં તૈનાત પોલીસ સ્ટાફ તાત્કાલિક પાંચમા માળે દોડી ગયો હતો. યુવક ખૂબ જ ઉશ્કેરાયેલી હાલતમાં હતો અને નશો કરેલો હોવાથી તેને સમજાવવો મુશ્કેલ હતો. જોકે, સુરક્ષા જવાનોએ ભારે સતર્કતા અને ધીરજ દાખવી હતી. એક તરફ યુવકને વાતોમાં પરોવીને સમજાવવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ જવાનોએ તક મળતા જ તેને પાછળથી પકડી લીધો હતો. આ દિલધડક રેસ્ક્યુ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. એક કલાક સુધી શ્વાસ અધ્ધર રહ્યા આ હાઈવોલ્ટેજ ડ્રામા લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો. મોડી રાત્રે હોસ્પિટલમાં શાંતિના બદલે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા .હોસ્પિટલના પટાંગણમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સૌ કોઈ મોબાઈલમાં આ 'શરાબીનો ખેલ' કેદ કરી રહ્યા હતા. જે બાદ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયા છે. પોલીસની કાયદેસરની કાર્યવાહી સુરક્ષા જવાનોએ આ દારૂડિયા યુવકને ઝડપી લીધા બાદ તુરંત જ પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ અને સિક્યુરિટીની સમયસૂચકતાને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી અને યુવકનો જીવ બચી ગયો હતો.
મોરબીમાં કેન્દ્ર સરકારની નવી 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન' (VB-G RAM G) યોજનાના લાભો અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ આ યોજનાની વિગતવાર જાણકારી આપી હતી. આ યોજના મનરેગા (MNREGA) તરીકે જાણીતી યોજનાનું સુધારેલું સ્વરૂપ છે. કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડેલ સાથે આ નવી યોજના અમલમાં મૂકી છે. આ પ્રેસ કોન્ફરન્સ મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડ ખાતે યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા અને મોરબી જિલ્લાના ડીડીઓ નવલદાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ત્રિકમ છાંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે, દેશમાં મનરેગા યોજના વર્ષ 2005માં શરૂ કરવામાં આવી હતી. તેનું નામ બદલીને 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન' (VB-G RAM G) કરવામાં આવ્યું છે, જેને લઈને ખોટી કાગારોળ કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, યોજનામાં કરાયેલા ફેરફારોથી લાભાર્થીઓને થનારા ફાયદા પર ધ્યાન આપવું જરૂરી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, જૂની યોજનામાં લાભાર્થીને 15 દિવસે વેતન મળતું હતું, જ્યારે હવે તેમને દર અઠવાડિયે વેતન ચૂકવવામાં આવશે. અગાઉ વર્ષમાં માત્ર 100 દિવસ રોજગારી મળતી હતી, જે હવે વધારીને 125 દિવસ કરવામાં આવી છે. રાજ્ય સરકારના 60 દિવસ ગણીએ તો કુલ 185 દિવસ સુધી વર્ષમાં રોજગારી મળશે. તેમણે ઉમેર્યું કે, જૂની યોજનામાં માત્ર જોબ કાર્ડ બનતા હતા અને ભ્રષ્ટાચારની શક્યતાઓ હતી. પરંતુ, નવી યોજનામાં મોબાઈલ અને જીપીએસ આધારિત મોનિટરિંગ દ્વારા લાભાર્થીના કામની દેખરેખ રાખવામાં આવશે, જેનાથી ભ્રષ્ટાચાર અટકશે. અંતમાં, મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'વિકસિત ભારત 2047'ના વિઝન સાથે સરકાર કામ કરી રહી છે. છેવાડાના માનવીની ચિંતા કરીને આ યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા મનરેગાને ખતમ કરવાની ખોટી વાતોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે VB-G RAM G યોજનાથી ગામડાનો વિકાસ થશે અને જરૂરિયાતમંદ મજૂરોને વધુ કામ મળશે.
હિંમતનગરના નવા રોડ પરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વિદેશી દારૂ ભરેલી એક ઇકો કાર ઝડપી પાડી છે. બુધવારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે રૂ. 62,000 ની કિંમતની 235 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. દારૂ અને કાર સહિત કુલ રૂ. 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેડ તાસિયા રોડથી નવા રોડ તરફ જતાં જૂની નગરપાલિકા કચેરી પાસે બની હતી. LCB સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે નવા તરફથી એક શંકાસ્પદ ઇકો કાર આવી રહી છે. પોલીસે GJ-01-WB-9831 નંબરની ઇકો કારને રોકી તેની તલાશી લીધી હતી. કારમાં બેઠેલા બે વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓ મહેશ અશોકભાઈ શ્રીમાળ (રહે. સુવર્ણપાર્ક ફ્લેટ, નરોડા, અમદાવાદ) અને સમીર દીપકભાઈ ચૌહાણ (રહે. શ્રીરામ એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઇકો કારની સીટ નીચે અને પાછળના ભાગેથી છુપાવેલો રૂ. 62,000 ની કિંમતનો 235 બોટલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. LCB PI ડી.સી. સાકરિયાના જણાવ્યા અનુસાર, પોલીસે દારૂનો જથ્થો અને ઇકો કાર સહિત કુલ રૂ. 2.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો આપનાર ત્રીજા શખ્સ વિરુદ્ધ પણ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોતાના ઘરનું સપનું જોતા મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારે જાહેર કરેલી પીએમ આવાસ યોજનાની સબસિડી મેળવવી કેટલી પડકારજનક હોઈ શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો સુરત અને અમરેલીમાં સામે આવ્યો છે. હોમ લોન લીધા બાદ પાંચ-પાંચ વર્ષ સુધી બેંકોના ધક્કા ખાવા છતાં સબસિડી નહોતી મળી, તે આખરે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લોકપાલના હસ્તક્ષેપ બાદ અરજદારોને પરત મળશે. શું હતો સમગ્ર મામલો?અરજદારોએ હોમ લોન લીધા બાદ પીએમ આવાસ યોજનાના સીએલએસએસ (CLSS) ઘટક હેઠળ મળવાપાત્ર 2.67 લાખની સબસિડી માટે વર્ષ 2020માં અરજી કરી હતી. અરજદારે 9.50 લાખની લોન લીધી હતી અને સબસિડી પ્રોસેસ માટેના તમામ જરૂરી દસ્તાવેજો બેંકમાં સમયસર જમા કરાવી દીધા હતા. જોકે, બેંક દ્વારા લાંબા સમય સુધી આ અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વર્ષ 2022માં આ યોજના બંધ થઈ ગઈ ત્યાં સુધી બેંકે ફાઈલ આગળ ધપાવી ન હતી. જ્યારે પણ ગ્રાહક તપાસ કરવા જતા ત્યારે બેંક દ્વારા 8થી 10 મહિનામાં રકમ જમા થઈ જશે તેવા વાયદાઓ કરીને ધક્કા ખવડાવવામાં આવતા હતા. સરકારી કચેરીની તપાસમાં બેંકની પોલ ખુલીઅરજદારે જ્યારે સંબંધિત સરકારી કચેરીમાં તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી કે બેંક તરફથી કોઈ પ્રોસેસ જ કરવામાં આવી ન હતી. બેંકની આ ગંભીર બેદરકારીને કારણે અરજદારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. RBI લોકપાલમાં થઈ રજૂઆતઆખરે કંટાળીને અરજદારોએ સી.એ. રાહુલ કથિરિયા મારફતે RBI લોકપાલમાં ફરિયાદ નોંધાવી હતી. લોકપાલ સમક્ષ એવી સચોટ દલીલો કરવામાં આવી હતી કે અરજદારે તમામ પુરાવા સમયસર આપ્યા હોવા છતાં માત્ર બેંકની નિષ્ક્રિયતાને કારણે સબસિડી અટકી છે. આ દલીલોને ગ્રાહક સુરક્ષાના હિતમાં ગ્રાહ્ય રાખીને RBI લોકપાલે અરજદારોના પક્ષમાં હુકમ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં 10 થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓ અને પશુઓની સારવાર સુનિશ્ચિત કરવા આ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગેની બેઠક હિંમતનગરના ધાણધા વન ચેતના કેન્દ્ર ખાતે યોજાઈ હતી. પક્ષીઓની સારવાર માટે 8320002000 વોટ્સએપ નંબરઆ અભિયાન અંતર્ગત, જિલ્લાના તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા 11 કલેક્શન સેન્ટર, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) દ્વારા 10 કલેક્શન સેન્ટર અને પશુ ચિકિત્સા માટેના 15 સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.વન વિભાગે ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે 8320002000 વોટ્સએપ નંબર કાર્યરત કર્યો છે. 'કરુણા' મેસેજ કરવાથી રાજ્યના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતી ઓનલાઈન મેપની લિંક પણ આ નંબર પરથી મળી રહેશે. વન વિભાગે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક પી.જે. ચૌધરી, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ) ડી.આઈ. ગઢવી, નાયબ પશુપાલક નિયામક જે.બી. પટેલ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મંત્રી ડૉ. આર.એસ. પટેલ, હિંમતનગરના RFO એચ.કે. પંડ્યા, અન્ય RFOs અને વિવિધ સેવાભાવી NGO ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. માળિયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના નેતા આલિંગભાઈ રાજશીભાઈ સિસોદિયા ઉર્ફે બચુભાઈ સિસોદિયાએ ભાજપમાંથી છેડો ફાડી નાખતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જવાહરભાઈ ચાવડા સાથેની તેમની ગુપ્ત મીટિંગના ફોટા વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ બચુભાઈએ પોતાના હોદ્દા અને પરિવાર સહિત ભાજપમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બચુભાઈ સિસોદિયાએ જિલ્લા ભાજપ પ્રમુખને ઉદ્દેશીને લખેલા પત્રમાં સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવતો નથી અને સતત ખેડૂતોની અવગણના કરીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જનસંઘના સમયથી જે પક્ષની વિચારધારા સાથે તેઓ જોડાયેલા હતા, તે પક્ષમાં હવે ખેડૂતોના હિત સચવાતા ન હોવાથી તેઓ ભારે હૈયે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હોવાનું તેમણે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે. આ રાજીનામાની વિશેષતા એ છે કે બચુભાઈની સાથે તેમનો આખો પરિવાર પણ ભાજપમાંથી મુક્ત થયો છે. બચુભાઈ પોતે નગરપંચાયત સદસ્ય અને બે ટર્મ સુધી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના ધર્મપત્ની પણ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે, જ્યારે તેમનો પુત્ર હાલ માળિયા હાટીના તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે સક્રિય હોદ્દો ધરાવતો હતો. આમ, દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા એક મજબૂત પરિવારે પક્ષ સાથે નાતો તોડી નાખતા આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. જવાહરભાઈ ચાવડા સાથેની બેઠક અંગે સ્પષ્ટતા કરતા બચુભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મુલાકાત માત્ર એક શુભેચ્છા મુલાકાત અને ઓપચારિક બેઠક હતી. જવાહરભાઈ સાથેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે તેઓ તેમને મળવા ગયા હતા. જોકે, ભવિષ્યમાં તેઓ કયા રાજકીય પક્ષનો હાથ પકડશે અને કઈ રણનીતિ સાથે આગળ વધશે તે અંગે તેમણે હાલ પૂરતા પત્તા ખોલ્યા નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ આગામી સમયમાં ખેડૂતોના હિતમાં જે પણ યોગ્ય લાગશે તે નિર્ણય લેશે. તો ભાજપમાંથી હાટી સમાજના આગેવાન અને ભાજપના આગેવાને રાજીનામું આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે બચુભાઈના રાજીનામાને આવકારતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં ખેડૂતો અને જનતા લાંબા સમયથી પીડાઈ રહી છે. બચુભાઈ જેવા સજ્જન અને લોકપ્રિય આગેવાનનું ભાજપમાંથી જવું તે પક્ષના પતનની નિશાની છે. તેમણે બચુભાઈ અને તેમના સમર્થકોને આમ આદમી પાર્ટીમાં જોડાઈને પરિવર્તન યાત્રાનો ભાગ બનવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવ્યું છે. પિયુષ પરમારે એવો દાવો પણ કર્યો છે કે ટૂંક સમયમાં માળિયા હાટીના પંથકમાં 2000થી વધુ કાર્યકરો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને લાંછન લગાડતા એક ગંભીર કૌભાંડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ત્રણ જવાબદાર અધિકારીઓ સામે કડક વહીવટી કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાંથી નીકળતો ઘનકચરો ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર પ્રોસેસ કરવાને બદલે, નિયમોનું ઉલ્લંઘન કરી મહુવાના કાંકરિયા ગામે ખાનગી જમીનમાં બારોબાર ઠાલવવાના પ્રકરણમાં આ પગલાં લેવાયા છે. ત્રણ અધિકારીઓને કારણદર્શક નોટિસ આ અધિકારીઓને આગામી 15 દિવસમાં સંતોષકારક જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. જો નિયત સમયમર્યાદામાં જવાબ નહીં મળે, તો પાલિકા દ્વારા તેમની સામે એકતરફી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શું છે સમગ્ર કૌભાંડ?ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર આવતા ઘનકચરાને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરી, તેમાંથી મળતા ઉત્પાદનો (RDF વગેરે) માન્ય એજન્સીઓ કે ઇન્ડસ્ટ્રીઝને મોકલવાની જવાબદારી ઇજારદાર 'સી.ડી. ટ્રાન્સપોર્ટ'ને સોંપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવાની જવાબદારી ઉપરુક્ત અધિકારીઓની હતી. જોકે, GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ના પત્ર દ્વારા ઘટસ્ફોટ થયો હતો કે, ખજોદ સાઇટ પરથી કચરાને પ્રોસેસ કર્યા વગર જ 3 ટ્રકો દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાંકરિયા ગામે ખુલ્લી જગ્યામાં બિનવૈજ્ઞાનિક રીતે ઠાલવવામાં આવતો હતો. આ ગેરકાયદે પ્રવૃત્તિ ધંધાકીય હેતુ માટે કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અધિકારીઓની રહેમનજર હેઠળ અથવા બેદરકારીને કારણે આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પ્રકારની બેદરકારીથી સુરત મહાનગરપાલિકાની છબી ખરડાઈ છે, જે વહીવટી દ્રષ્ટિએ જરાય ચલાવી શકાય તેમ નથી. ત્રણ ટ્રકે 112 ફેરા માર્યા, હવે કચરો પરત લાવવા કવાયતપાલિકાની આંતરિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, જપ્ત કરાયેલા ત્રણ ડમ્પરોએ ગત 10 થી 21 ડિસેમ્બર દરમિયાન ખજોદ ખાતેથી કુલ 112 ટ્રીપો મારી હતી. કૌભાંડ પકડાયા બાદ હવે મહુવાના કાંકરિયા ગામે ઠાલવવામાં આવેલો કચરો ફરીથી ઉપાડીને ખજોદ લાવવાની સૂચના ઇજારદારને આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી 10 જેટલી ટ્રકો આ કચરો પરત લાવવાની કામગીરીમાં રાત-દિવસ કાર્યરત છે.
ભાવનગર શહેરના તરસમીયામાં રહેતો 40 વર્ષિય યુવકને તા. 3 જાન્યુઆરીના રોજ તરસમીયાથી ખારશી રોડ પર આવેલી પીરની દરગાહ પાસેથી માલણકા ગામે રહેતા શખસે પૈસા બાબતે બોલાચાલી કરી યુવકને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. જે મામલે પોલીસે હત્યા નિપજાવનાર શખસની ધરપકડ કર્યા બાદ તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવી આ ગુનામાં ઉપયોગ કરાયેલા હથિયાર અને બાઈક કબજે કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ભરતનગર પીઆઈ સહિતના સ્ટાફે શખસને ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્ટ્રકશન હાથ ધર્યુ હતું. છરીના ઘા ઝીંક યુવકની હત્યા કરાઈઆ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના તરસમીયા ગામના વતની અને હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બુધાભાઈ બચુભાઈ ડાભીએ તા.4 જાન્યુઆરીના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં માલણકા ગામના વિપુલ કાંતીભાઈ બારૈયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના દીકરા સુરેશભાઈ બુધાભાઈ ડાભી ઉંમર વર્ષ 40 સાથે તરસમીયા ખારશી રોડ પર પીરની દરગાહ પાસે આવેલી ભાડાની દુકાન પાસે માલણકા ગામે રહેતા વિપુલ કાંતીભાઈ બારૈયા નામના શખસે આવી તેના દીકરા સુરેશભાઈ સાથે હિસાબના પૈસા બાબતે બોલાચાલી અને ઉગ્ર ઝઘડો કરી વિપુલે તેના પાસે રહેલી છરીના ઘા સુરેશભાઈને મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું બાઈક લઈ નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત સુરેશભાઈને સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત નિપજયું હતું. આ ઘટનાના પગલે ભરતનગર પોલીસે શખસ સામે બીએનએસ એક્ટ 103(1), 352, જીપી એક્ટ 135, મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે ભરતનગર પોલિસે તા.5 ના રોજ વિપુલ બારૈયાની ધરપકડ કરવામાં આવી અને આજરોજ બનાવ સ્થળ પર વિપુલ બારૈયાને લઈ જઈ ઘટનાનું રિ-કન્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે છરી અને બાઈક જપ્ત કર્યુંઆ અંગે ઇન્ચાર્જ સિટી DYSP આર.વી.ડામોરે જણાવ્યું હતું કે, ગત તા.3 જાન્યુઆરીના રોજ ભરતનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આરોપી વિપુલ બારૈયા તેની ભાભી ટેઇલરિંગનું કામ કરે છે. જેથી મરણજનાર સુરેશભાઈ ડાભી તેની ભાભી પાસે ટેઇલરિંગનું કામ કરાવતા હતા, તેથી હિસાબ કિતાબના રૂપિયા લેવા માટે આરોપીને તેની ભાભીએ મરણજનાર સુરેશભાઈ પાસે મોકલેલા હતા. ત્યાં હિસાબ બાબતે બોલાચાલી અને ટકરાર થતા આરોપી વિપુલ બારૈયાએ પોતાની પાસેથી છરી મરણજનારને પીઠના ભાગે તેમજ શરીરના ડાબા પડખે મારી દીધેલી, જેથી તેનું મોત થયું હતું. આરોપી વિપુલ બારૈયાની તા.5 જાન્યુઆરીના રોજ ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી છે. અને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. અને તે દરમિયાન આરોપીને ઓળખ પરેડ કરવામાં આવેલ છે. અને આરોપીનું આજરોજ જે ગુનામાં વાપરેલા મોટરસાઇકલ હતું તે જમા લેવામાં આવેલ અને છરીને મુદામાલમાં લેવામાં આવ્યો છે.
કેનેડાના વિઝાના બહાને 60 લોકો સાથે 7.48 કરોડની છેતરપિંડીના બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપીઓ પર આરોપ છે કે તેઓએ 'ઓવરસીસ ગેટવે' કંપની દ્વારા ગ્રાહકોને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી કુલ રૂ. 7.48 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓની જામીન અરજી ફગાવતા કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓએ ઓવરસીસ ગેટવેની ફ્રેન્ચાઈઝી લીધી હતી અને કંપનીમાં ડાયરેક્ટર તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્યારે આરોપીઓને જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત જણાતુ નથી. બીજી તરફ ફરિયાદ પક્ષે એડવોકેટે એવી દલીલ કરી હતી કે આરોપીઓના કૃત્યને કારણે 60 લોકો 5 વર્ષ સુધી કેનેડા વિઝા નહીં મુકી શકે. ત્યારે ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઇએ. વિઝા કૌભાંડમાં આરોપીઓની રેગ્યુલ જામીન અરજીગાંધીનગર CID ક્રાઈમમાં નોંધાયેલા કરોડો રૂપિયાના વિઝા કૌભાંડમાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા આરોપીઓ વિજય હરસિંધિયા અને કૃતિકા સોનવણેની રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિજય તો માત્ર કર્મચારી છે તે ત્યાં નોકરી કરતો હતો, બીજો કોઇ રોલ નથી, કૃતિકા સામે પણ કોઇ ગંભીર આક્ષેપ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવા જોઇએ. આરોપીઓએ કેનેડાની કંપનીઓના બનાવટી લેટર બનાવ્યા જોકે, ફરિયાદ પક્ષે એડવોકેટ જગત વી. પટેલે એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેઓએ ફરિયાદી અને સાક્ષીઓના સંપર્કમાં રહેલા 60 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી કેનેડાના વિઝા અને પી.આર.કરાવી આપવાના બહાને એડવાન્સમાં કરોડો રૂપિયા મેળવ્યા હતા. આ રકમ લીધા બાદ, તેઓએ કેનેડાની જાણીતી કંપનીઓના નામે બનાવટી 'LMIA' (Labour Market Impact Assessment) લેટર્સ અને એન્ડોર્સમેન્ટ લેટર્સ તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી કેનેડા એમ્બેસીમાં સબમિટ કર્યા હતા, જેનાથી ગ્રાહકોના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. આ એક ગંભીર આર્થિક ગુનો છે. કોર્ટે બન્ને આરોપીઓના જામીન ફગાવી દીધાઆરોપીઓએ ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકોના નાણાં પચાવી પાડ્યા છે. જો તેઓને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવાનો નાશ કરી શકે છે અથવા સાક્ષીઓને ધમકાવી શકે છે. ત્યારે આરોપીઓને જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે બન્ને આરોપીઓના જામીન ફગાવી દીધા છે. કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા ચુકાદામાં નોંધ્યું હતું કે વિદેશ જવાની લાલચ આપી સામાન્ય જનતાને છેતરવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં ભોગ બનનાર લોકોએ મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે, હાલમાં તપાસ નાજુક તબક્કામાં છે અને અન્ય સહ-આરોપીઓ હજુ ફરાર છે. આવા સંજોગોમાં જામીન મુક્ત કરવાથી ટ્રાયલ પર માઠી અસર પડી શકે છે. આથી, ગુનાની ગંભીરતા અને રકમની વિશાળતાને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓની જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત જણાતુ નથી.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર 'અર્વાચીન સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરાનું પ્રતિબિંબ' વિષય પર 7 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયો હતો. તેનું આયોજન RUSA COMPONENT No.-11 FACULTY IMPROVEMENT યોજના અંતર્ગત ‘RUSA PM-USHA‘ના સંયુક્ત ઉપક્રમે કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ થયું હતું.આ સેમિનારમાં ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને યુનિવર્સિટીની સંલગ્ન કૉલેજોના અધ્યાપકોએ ભાગ લીધો હતો.સેમિનારના આરંભમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ જેઠવાએ વક્તાઓનો પરિચય આપી સ્વાગત કર્યું હતું. કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિ વિશે શીખવા માટે આવા સેમિનારની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.બીજરૂપ વક્તવ્યમાં જાણીતા લોકસાહિત્યકાર નિરંજન રાજ્યગુરુએ વૈદિક સાહિત્યથી મધ્યકાળ સુધીની ભારતીય જ્ઞાન પરંપરાના ઇતિહાસ વિશે વાત કરી હતી. બીજા વક્તા, લોકસાહિત્યકાર ડૉ. નાથાલાલ ગોહિલે સુધારકયુગ અને પંડિતયુગના સાહિત્યમાં જ્ઞાન પરંપરા વિશે ઉદાહરણો સાથે ચર્ચા કરી. મ.સ. યુનિવર્સિટીના પ્રો. ડૉ. રાજેશ પંડ્યાએ ગુજરાતી કવિતામાં ભારતીય જ્ઞાન પરંપરા પર રસપ્રદ ચર્ચા કરી હતી. NCERT-ભોપાલના અધ્યાપક ડૉ. સુરેશ મકવાણાએ ભારતીય સાહિત્ય અને લોકસાહિત્યમાં જ્ઞાન પરંપરા સંદર્ભે વાત રજૂ કરી હતી.સેમિનારમાં વિવિધ સત્રોનું સંચાલન ડૉ. વિપુલ ઠાકર, ડૉ. ઈસ્માઈલ સંગાડા, ડૉ. જાગૃતિ મહેતા અને ડૉ. નયન પટેલે કર્યું હતું. આભારવિધિ વિભાગના અધ્યાપક ડૉ. નીતિન રાઠોડે કરી હતી.આ સેમિનારમાં ૨૦૦ જેટલા પ્રતિભાગીઓ જોડાયા હતા, જેમાંથી ૨૮ સંશોધકોએ પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા.
મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં એક દાખલારૂપ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત મદદગાર શખ્સને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યુંઆરોપીઓએ એક સગીરાને લગ્નની લાલચ આપી ગામમાંથી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાયદેસરની કાર્યવાહી બાદ કેસ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ અને તેને આ ગુનામાં મદદ કરનાર ધર્મેન્દ્રસિંહ એમ બંનેને તકસીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે આ ચુકાદા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માત્ર દુષ્કર્મ આચરનાર જ નહીં પરંતુ આવા ગુનામાં સાથ આપનાર સહ-આરોપી પણ સમાન સજાને પાત્ર છે. કોર્ટે બંને આરોપીઓને કડક સજાનો આદેશ આપ્યોઆ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ રેખાબેન જોષીએ હાજર રહીને ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક છે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે જરૂરી છે. સરકારી વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓને કડક સજાનો આદેશ આપ્યો હતો.
પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ ભરતીમાં યુવાનોને સફળતા અપાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ દળ વર્ગ-3 (PSI અને લોકરક્ષક)ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે શારીરિક તાલીમ વર્ગોનું આયોજન કરાયું છે. પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ તાલીમ સત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાભરમાંથી અંદાજે 300 જેટલા મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ 28મી ડિસેમ્બર 2025થી શરૂ થઈ છે અને તેમાં પોલીસ હેડક્વાર્ટર્સના નિષ્ણાત ADI દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ તાલીમ અંગે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. નિસરતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોની શારીરિક કાર્યક્ષમતા અને તંદુરસ્તી વધારવા માટે દરરોજ બે સેશનમાં તાલીમ અપાય છે. સવારે 6:00 થી 8:00 અને સાંજે 5:00 થી 7:00 વાગ્યા દરમિયાન ઉમેદવારોને દોડ, સ્ટ્રેચિંગ અને ફિઝિકલ ફિટનેસની વિવિધ કસરતો કરાવવામાં આવે છે. પોલીસ વિભાગના અનુભવી ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા ઉમેદવારોને માત્ર કસરત જ નહીં, પરંતુ શિસ્તબદ્ધ રીતે ગ્રાઉન્ડ પર કેવી રીતે પ્રદર્શન કરવું તેનું પણ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલના વધુને વધુ યુવાનોને પોલીસ દળમાં જોડાવા માટે સક્ષમ બનાવવાનો છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક લૂંટની ઘટના સામે આવી છે. માનવ આશ્રમ રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા એક 54 વર્ષીય વૃદ્ધા સાંજના સમયે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાઈકસવાર દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવીમહેસાણાના માનવ આશ્રમ રોડ પર ગૌરવ ટાઉનશીપમાં રહેતા હીનાબેન જોષી ગત 6 તારીખે સાંજના સમયે પોતાની સોસાયટી નજીક આવેલા રામેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને તેઓ હીના ટાઉનશીપથી ગૌરવ ટાઉનશીપ તરફ પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગૌરવ ટાઉનશીપ પાસે જ એક બાઇક પર બે અજાણ્યા યુવકો તેમની નજીક આવ્યા હતા. વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ બાઇક સવાર તસ્કરોએ તેમના ગળામાં પહેરેલું આશરે દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. વૃદ્ધાની બાઈકસવાર સામે ફરિયાદઅચાનક થયેલા આ લૂંટ થી ગભરાયેલા હીનાબેને બૂમાબૂમ કરી મૂકી હતી. હીનાબેનનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ લોકો ભેગા થાય તે પહેલા જ તસ્કરો બાઇક પર પૂરઝડપે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઘટનામાં દોઢ લાખનું મંગળ સૂત્ર ઝૂંટવી ફરાર થનાર તસ્કરો સામે ભોગ બનનાર વૃદ્ધાએ આ અંગે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળોને અટકાવવા માટે પાણીપુરી વેચનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. જે સાત જાન્યુઆરીના રોજ આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા અલગ અલગ 103 જેટલી પાણીપુરીની લારીઓને નોટિસ આપી અને 22 જેટલી લારીઓને જપ્ત કરી છે, જ્યારે 112 કિલો તેમજ 63 લીટર જેટલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો છે. પાણીપુરી વેચનારા વેપારીઓ સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે પગલા લેવાની શરૂઆત કરી છે. પાણીપુરી લારીના સંચાલકો દ્વારા સડેલા ચણા-બટાકાનો ઉપોયગ કરવામાં આવી રહ્યો છે. ખૂબ જ ખરાબ જગ્યા ઉપર વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વિવિધ વિસ્તારમાં પાણીની પણ ગુણવત્તા યોગ્ય નહી હોવાનું જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ મેળવી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ક્યા ઝોનમાં મ્યુનિ. દ્વારા કેટલી લારીઓને નોટિસ
પંચમહાલ રાજપૂત સમાજના 100 વર્ષ પૂર્ણ:9 અને 10 જાન્યુઆરીએ શતાબ્દી મહોત્સવ ઉજવાશે
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 અને 10 જાન્યુઆરી, 2026ના રોજ દ્વિ-દિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીનો લોકડાયરો મુખ્ય આકર્ષણ રહેશે. મહોત્સવના પ્રથમ દિવસે, 9 જાન્યુઆરી, શુક્રવારે બપોરે 12:00 થી 1:00 કલાક દરમિયાન વાહન શોભાયાત્રા યોજાશે. તે જ દિવસે રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું છે, જેમાં કિર્તીદાન ગઢવી લોકસાહિત્ય, ભજનો અને લોકગીતો રજૂ કરશે. કિર્તીદાન ગઢવીએ એક વિડિયો સંદેશ દ્વારા પંચમહાલના રાજપૂત સમાજ અને લોકસંગીત પ્રેમીઓને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. મહોત્સવના બીજા દિવસે, 10 જાન્યુઆરીના રોજ સવારે 8:00 થી 11:00 કલાક દરમિયાન ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. ત્યારબાદ સવારે 11:00 થી 1:00 કલાક દરમિયાન સમાપન સમારોહ યોજાશે. આ મહોત્સવમાં સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના 25 ડિસેમ્બર, 1925ના રોજ રેવાકાંઠા રાજપૂત પરિષદ તરીકે થઈ હતી. ડિસેમ્બર-2025માં સંસ્થાએ તેના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તત્કાલીન સમાજ સુધારકો અને આગેવાનોએ સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષના હેતુથી આ સંગઠનની સ્થાપના કરી હતી.
વાપીમાં AAPની પરિવર્તન સભા યોજાઈ:ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા, ચૈતર વસાવા સહિતનાઓએ સભા ગજવી
વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ વાપીના લોકોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને, વાપી મહાનગરપાલિકા દ્વારા ભંગારના ગોડાઉન સંચાલકો સાથે થતા અન્યાય અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, હું મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગુ છું કે ખાલી એક મહિનો આમ આદમી પાર્ટીને સત્તા આપી દો જો ત્રણ મહિનાની અંદર બ્રિજ ન બને તો હું ભાજપનો આજીવન ગુલામ બની જાવ. તમે પ્રજાને લૂંટવા સીવાય કઈ ઈચ્છતા નથી. હું મંત્રીને કહેવા માગુ છું કે, 11 ગામના લોકો જ્યારે તમારા ઘરની સામે બેઠા હશે ત્યારે તમારી ધ્રુજારી છૂટ્ટી જશે. આમ આદમી પાર્ટીને સત્તા આપો હું તમને ખાતરી આપું છું કે, તમારા બાળકોનું જીવન જીવવાલાયક બનાવી દેશું. આ લડાઈ આર્થિક નથી આ લડાઈ અસ્તિત્વ ટકાવવાની છે. જે પણ ભાજપના નેતાને એમ હોય કે ભાજપ સારી છે તેઓ ભાજપ સામે બોલી બતાવે બીજા જ દિવસે ખાખી પોલીસનો દૂરઉપયોગ કરી એના ઉપર ખોટો કેસનો કરાવે તો હું તમારો આજીવન ગુલામ બની જઈશ.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ગઈકાલે 6 જાન્યુઆરીએ સુરવા-માધુપુર ગામ વચ્ચે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલી છકડોરિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વ્યક્તિએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા. ઘટના બાદથી ફરાર આઈસર ચાલક આજે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. ફરાર આઈસર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયો આ ટ્રીપલ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોનો જીવ લેનાર ફરાર આઈસર GJ-14-Z-5054નો ચાલક કાદર ઉર્ફે કાદુ જુમાભાઈ બ્લોચ (ઉંમર 38, રહે. તાલાલા) આજે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. પોલીસે તેની અટકાયત કરી છે. તાલાલા પીઆઈ એ.બી. ગોહિલની સૂચનાથી મહિલા પીએસઆઈ પી.વી. ધનેશા આ અકસ્માત કેસની તપાસ ચલાવી રહ્યા છે. છકડો રિક્ષાના ચાલક મૃતક કિશોરભાઈ મારડિયાના પુત્ર યશવંત ઉર્ફે અશ્વિન કિશોરભાઈ મારડિયાએ આઈસર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આઈસર ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી છકડો રિક્ષા અને બાઈકને હડફેટે લીધા હતા, જેના કારણે માનવ ઈજા અને મૃત્યુ થયા હતા. પોલીસે BNS કલમ 281, 125A, 125B, 106.1 અને મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184 હેઠળ ગુનો નોંધ્યો હતો. બાઈક પર સવાર કાકા-ભત્રીજા અને છકડો રીક્ષાચાલકનું મોતઆઈસર ટ્રક આંકોલવાડીથી ગોળ ભરીને તાલાલા તરફ જઈ રહીં હતી. સુરવા-માધુપુર વચ્ચે ચૈતન્ય હનુમાન મંદિર પાસે આઈસરચાલકે કાબૂ ગુમાવતાં પહેલા છકડો રિક્ષા અને બાદમાં બાઈક પર સવાર કાકા-ભત્રીજાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરે બાઈકને ટક્કર મારતાં બાઈક રોડ પરથી ઊતરી ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે બાઈક પર સવાર જાવંત્રી(ગીર) ગામના કાકા-ભત્રીજા દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયા (ભત્રીજો) અને પ્રભુદાસભાઈ ધીરુભાઈ વાડોદરિયા (કાકા) બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે નાળિયેર ભરેલી છકડોરિક્ષા રોડ પર પલટી ગઈ હતી, જેમાં છકડોરિક્ષા ચલાવનાર તાલાલા નિવાસી 45 વર્ષીય કિશોરભાઈ હરિભાઇ મારડિયાનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે છકડોમાં સવાર તેમનાં પત્ની 35 વર્ષીય લક્ષ્મીબેન અને પુત્ર 19 વર્ષીય યશવંત ઇજાગ્રસ્ત થયાં હતા. બાઈક પર સવાર કાકા-ભત્રીજા 50 ફુટ દૂર પડ્યાભાસ્કરે આજે સ્થળ પર જઈને આ ટ્રીપલ અકસ્માતની ભયાનકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. બચાવકાર્યમાં સામેલ માધુપુર ગીરના સામાજિક આગેવાન વિજય હીરપરાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર કાકા-ભત્રીજા આઈસરની ટક્કર બાદ ફંગોળાઈને 50 ફુટ દૂર ખેતરમાં પડ્યાં હતા. જેના એક મહિના બાદ લગ્ન હતા તે ભત્રીજા દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયાના પગ ક્ષતવિક્ષત થઈ ગયા હતા, જેથી પરિવારે બંને કાકા-ભત્રીજાના અંતિમ સંસ્કાર રાત્રે જ કરવા પડ્યા હતા. માધુપુર ગીરના સામાજિક આગેવાન વિજય હીરપરાએ માંગ કરી છે કે આઈસર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનની કલમ પણ પોલીસ ફરિયાદમાં ઉમેરવામાં આવે. માધુપુર અને જાવંત્રીના સરપંચોએ શોક વ્યક્ત કર્યોજાવંત્રી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અલ્તાફભાઈ બ્લોચે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે અમારા ગામના કાકા-ભત્રીજા દિલીપભાઈ વાડોદરિયા અને પ્રભુદાસભાઈ ધીરુભાઈ વાડોદરિયા બંનેના મોત થતા આખા ગામમાં દુઃખની લાગણી છે. ઈશ્વર આવું દુઃખ કોઈને ન આપે.જાવંત્રીના મૃતક કાકા-ભત્રીજા માધુપુર સરપંચ વિમલભાઈ વાડોદરિયાના કુટુંબીજનો થાય છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અમારા પરિવાર માથે ખુબ મોટી આફત આવી પડી છે.
દાહોદમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશ્કેરાઈને પોલીસકર્મી પર કુહાડી વડે હુમલો કર્યો હતો. દાહોદની રૂરલ પોલીસની ટીમ સાંગા ગામે દારૂની રેડમાં ગઈ હતી. ત્યારે વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહી બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. પોલીસ કર્મચારીને માથાના ભાગે કુહાડી મારી હતી. જેથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ કર્મીને માથાના ભાગે ટાકાં આવ્યાં છે. પોલીસ પર હુમલો કરી હુમલાખોર બુટલેગર ફરાર થઈ ગયો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કર્મચારીઓ વચ્ચેના વિવાદની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ તંગ બની રહ્યું છે. રાત્રે વોર્ડ બોય અને કાયમી સફાઈ કામદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં વોર્ડ બોયને તમાચો મારવામાં આવ્યો હતો. આ ઘટના હોસ્પિટલના આરએમઓ અને એસઆઈ ઓફિસ સુધી પહોંચી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓમાં અસંતોષ વધ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પર યુવક વોર્ડ બોયની ફરજ બજાવે છે અને તેઓ હોસ્પિટલના ઓટોક્લેવ વિભાગમાં કામ કરે છે. રાત્રે તેમની નાઈટ ડ્યુટી હતી. રાત્રીના 12.30 વાગ્યા છતાં સાથી કર્મચારી અને કાયમી સફાઈ કામદાર હોસ્પિટલમાં હાજર નહોતા, તેથી યુવકે તેમને ફોન કરીને પૂછ્યું કે તેઓ ક્યારે આવશે, કારણ કે તેમને વોશરૂમ જવું હતું. આ વાત પર સફાઈ કામદારે ગાળાગાળી કરી અને કહ્યું કે, હું તારો નોકર છું? તેમ કહીને ફોન કાપી નાખ્યો. આ પછી વોર્ડ બોયે જેતે વિભાગને તાળું મારીને વોશરૂમમાં ગયો હતો. તે દરમિયાન સફાઈ કામદાર વિભાગ પાસે આવી પહોંચ્યો હતો અને તાળુ જોઈને વોર્ડ બોય સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. વાત વધતાં સફાઈ કામદારે વોર્ડબોયને એક તમાચો મારી દીધો હતો. આ ઘટના બાદ મામલો હોસ્પિટલના આરએમઓની ઓફિસ અને એસઆઈની ઓફિસ સુધી પહોંચ્યો હતો. વોર્ડ બોયે તેમને રજૂઆત કરી, પરંતુ તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના મૌન સેવી લીધું હતું. જેથી વોર્ડ બોય સહિતના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રવિણભાઈ સંઘાભાઈ સોલંકી (ઉં.વ.50) આજે બપોરે 1.30 વાગ્યાં આસપાસ બાઈક લઈને જતા હતા ત્યારે કુવાડવા ગામ નજીક હાઇવે પર અજાણી કારનો ચાલક હડફેટે લઈ નાસી ગયો હતો જેને રાહદારીઓએ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ કુવાડવા પાસે પ્રવિણભાઈએ વાડી વાવવા માટે રાખી છે આજે સગામાં એક જગ્યાએ શ્રીમંત પ્રસંગ હોવાથી પ્રવિણભાઈ તેમના પત્નીને શ્રીમંત પ્રસંગમાં મૂકીને પરત વાડીએ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી પ્રવિણભાઈના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી હોવાનું સામે આવ્યું છે. માતાના વિયોગમાં પુત્રએ આત્મહત્યા કરી રાજકોટ શહેરના પુનિત નગર પાણીના ટાંકા પાસે રહેતા કિરીટસિંહ ભુપતસિંહ સીસોદીયા (ઉં.વ.38)એ ગઈકાલે રાત્રે 2 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, કિરીટસિંહ રીક્ષા ચલાવતા હતા ગત 31 ડિસેમ્બરના રોજ તેમના માતા રામબા (ઉં.વ.73)નું બીમારી સબબ મૃત્યુ થયું હતું જેથી કિરીટસિંહ ગુમસુમ રહેતા હતા. ગઈકાલે રાત્રે તેમના પત્ની સોનલબેનની નીંદર ઉડી અને જોયું તો પતિ કિરીટસિંહએ સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેઓએ કલ્પાંત કરતા પરિવારના બીજા સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે. માતાના અવસાન પછી માતાના વિયોગમાં પુત્ર કિરીટસિંહે અંતિમ પગલું ભરી લીધાનું અનુમાન છે જો કે પોલીસે આ અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ પાંચ મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર આવતાની સાથે જ પોતાની 'ડોન' ઈમેજને વધુ ચમકાવવાનું શરૂ કરી દીધું છે. SOGની રાત-દિવસની મહેનતથી ધરપકડ થયેલા આ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી, ફટાકડાના ધુમાડા વચ્ચે લક્ઝરી કારમાંથી ઉતર્યો અને ગેંગસ્ટર મ્યુઝિક સાથેના વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરીને સુરત પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. ગળામાં મોટી સોનાની ચેઈન, સાગરીતોના ખભા પર સવારી અને ડોન એટલે ડોન જેવા કેપ્શન સાથે પોસ્ટ કરીને તેણે ગુનાહિત જીવનમાંથી સુધારાના દાવાઓને પોકળ સાબિત કર્યા છે, જ્યારે તેના ભૂતકાળમાં હાઈ-ટેક સિક્યોરિટી સિસ્ટમ, વોકી-ટોકી પેટ્રોલિંગ અને પિસ્તોલ-ડ્રગ્સના જથ્થા સાથેના કેસો પોલીસ માટે નવી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. હવે સુરત પોલીસ આ 'સોશિયલ મીડિયા ડોન' વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેને પાછો જેલમાં મોકલશે કે કેમ તે જોવાનું રહેશે. ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી, ફટાકડાના ધુમાડા અને ગેંગસ્ટર સોન્ગજેલના દરવાજા ખુલતા જ સફેદ રંગની લક્ઝરી કારથી શિવાને ઉતરે છે. રસ્તામાં ફટાકડા ફોડીને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ કોઈ સામાજિક સેવક નહીં પણ ડ્રગ્સનો સોદાગર હતો. આ આખા તમાશાના વીડિયો બનાવીને બેકગ્રાઉન્ડમાં 'ગેંગસ્ટર' મ્યુઝિક સાથે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યા છે, જે સીધો પોલીસની મર્યાદા પર પ્રહાર છે. પોતાની પ્રોફાઈલ પર લખ્યું- ડોન એટલે ડોનવાયરલ થયેલા વીડિયોમાં શિવા ઝાલાના ગળામાં મોટી સોનાની ચેન અને કિંમતી કપડાંમાં તે નજરે પડે છે. ગુનાખોરીનો કોઈ પસ્તાવો કરવાને બદલે તે પોતાના સાગરીતોના ખભા પર બેસીને નાચતો નજરે આવે છે અને વિજય ઉત્સવ મનાવી રહ્યો છે. તેણે પોતાની પ્રોફાઈલ પર ગર્વથી લખ્યું છે- ડોન એટલે ડોન. આ શબ્દો સુરત પોલીસના ગૌરવને ઠેસ પહોંચાડનારા છે. ઘરમાં 24 હાઈ-ડેફિનેશન નાઈટ વિઝન કેમેરા લગાવ્યા હતાશિવા ઝાલા ભલે ભણ્યો નથી પણ તેનું ગુનાહિત દિમાગ કોઈ એન્જિનિયરથી કમ નથી. ભૂતકાળમાં જ્યારે SOGએ તેના ઘરે દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોતાની જાળ બચાવવા તેણે ઘરમાં 24 હાઈ-ડેફિનેશન નાઈટ વિઝન કેમેરા લગાવ્યા હતા. આ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવા માટે તેણે હોલમાં 55 ઈંચની વિશાળ ટીવી રાખ્યું હતું, જેથી પોલીસના પગલાં તે દૂરથી જ જોઈ શકે. માત્ર કેમેરા જ નહીં, શિવાએ પોતાની સુરક્ષા માટે ખાનગી આર્મી બનાવી હતી. તેના ચાર માણસો હાથમાં વોકી-ટોકી લઈને ઘરની આસપાસ સતત પેટ્રોલિંગ કરતા હતા. અગાઉની રેડમાં તેની પાસેથી બે ઘાતક પિસ્તોલ, 13 જીવતા કારતૂસ અને 118 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. આટલા ગંભીર ગુના બાદ પણ બહાર આવીને તે ફરી એ જ પંથે ચાલવા મથતો હોય એવું દેખાઈ રહ્યું છે. જોકે, જેલમાંથી છૂટ્યા પછી ગુનેગારોના સુધરવાના દાવાઓ અહીં પોકળ સાબિત થયા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5 થી 8 જાન્યુઆરી દરમિયાન રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. બુધવારે મનો દિવ્યાંગ, માનસિક બીમારી અને ચોક્કસ શીખવા સંબંધિત દિવ્યાંગતા વિભાગમાં કુલ 485 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 22 થી વધુ, 0 થી 16, 17 થી 35 અને 35 થી વધુ ઉંમરના ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય છે. વિજેતાઓને સન્માન પત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભની માહિતી આપતા તુષાર જોગલેકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 5 થી 8 જાન્યુઆરી સુધી અલગ અલગ ઉંમરના ભાઈઓ-બહેનોની રમતો રમાઈ રહી છે. બુધવારે યોજાયેલી સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. મનો દિવ્યાંગ વિભાગમાં 22 થી વધુ ઉંમરના ખેલાડીઓએ બોસીમાં 125 અને એથ્લેટિક્સમાં 200ની સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે માનસિક બીમારી અને ચોક્કસ શીખવા સંબંધિત વિકલાંગતા વિભાગમાં 0 થી 16, 17 થી 35 અને 35 થી વધુ ઉંમરના ખેલાડીઓએ સાયકલિંગ, બાસ્કેટબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ભાગ લીધો હતો, જેમાં કુલ 160 ખેલાડીઓ (11 અને 149 ના બે જૂથોમાં)નો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મેદાન પર સવારથી શરૂ થયેલી રમતોની સ્પર્ધા સાંજે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ભાઈઓ અને બહેનોને ઇનામ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રોજગારીના દિવસો 100થી વધારી 125 કરાયા:મંત્રી નરેશ પટેલે 'વિકસિત ભારત જી રામ જી' અંગે માહિતી આપી
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે વ્યારા સર્કિટ હાઉસ ખાતે 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન - ગ્રામીણ: વી.બી.જી. રામજી અધિનિયમ 2025' અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર કરાયેલા આ અધિનિયમ હેઠળ રોજગારીના દિવસો 100 થી વધારીને 125 કરવામાં આવ્યા છે. મંત્રી નરેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, નિર્ધારિત સમયમાં કામ ન મળતા બેરોજગારી ભથ્થાની જોગવાઈને મજબૂત બનાવાઈ છે. આ ઉપરાંત, 50 ટકા કામો ગ્રામ પંચાયતો દ્વારા નક્કી કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને રોજગાર મળી શકશે. પરિવારોનું નોંધણીકરણ, રોજગાર ગેરંટી કાર્ડ આપવા, કામ માટે અરજીઓ મંગાવવી અને યોજનાઓ તૈયાર કરવાની તમામ જવાબદારી ગ્રામ પંચાયતોની રહેશે. તેમણે જણાવ્યું કે, આ યોજના હેઠળ જળ સંરક્ષણ, માળખાકીય સુવિધાઓનું નિર્માણ, આજીવિકા આધારિત કામો અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત કાર્યો કરવામાં આવશે. તેમાં તળાવ, ચેકડેમ, સ્ટોપ ડેમ, શાળા, હોસ્પિટલ, આંગણવાડી, રસ્તા, ગટર, શેડ જેવા જરૂરી માળખા બનાવવાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગરીબ પરિવારો અને સ્વ-સહાય જૂથોની બહેનોની આવક વધારવા માટે રોજગાર સાથે સંકળાયેલા કામો તેમજ રિટેનિંગ વોલ, પીચિંગ અને ડ્રેનેજ જેવી રચનાઓ પણ સામેલ રહેશે. આનાથી ગામમાં પાણી સુરક્ષિત રહેશે, મૂળભૂત માળખું મજબૂત બનશે, રોજગાર અને આવકમાં વધારો થશે તથા ગામ કુદરતી આફતોથી સુરક્ષિત રહેશે. મંત્રી નરેશ પટેલે ઉમેર્યું કે, જવાબદારી નક્કી કર્યા બાદ કામગીરી અસરકારક થઈ રહી છે કે કેમ તે ચકાસવા માટે દરેક કામગીરીનું સોશિયલ ઓડિટ થશે. બાયોમેટ્રિક હાજરી, જીઆઈએસ દ્વારા તપાસ, મોબાઈલ એપ, ડેશબોર્ડ અને સાપ્તાહિક જાહેર માહિતી જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ અધિનિયમ 'વિકસિત ગામ' અને 'ગ્રામ સ્વરાજ'ના સંકલ્પને દરેક ગામ સુધી પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે. આ ઐતિહાસિક અધિનિયમ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક રીતે સફળ થશે અને દરેક જરૂરિયાતમંદ સુધી રોજગાર, સન્માન અને વિકાસ સુનિશ્ચિત કરી શકાશે. આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજી હળપતિ અને મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લાના સૂરજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ:વઘઈ પોલીસે શંકાના આધારે થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં પત્નીની હત્યા કરવા બદલ પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં વઘઈ પોલીસે સઘન તપાસ કરી હતી, જેના પરિણામે આશરે સાડા પાંચ વર્ષની કાનૂની લડત બાદ ન્યાય મળ્યો છે. આ ઘટના 21 સપ્ટેમ્બર, 2020ના રોજ બની હતી. મમતાબેન ચૌધરીના પિતા મંગળભાઈ ચૌધરીએ તેમની દીકરીના શંકાસ્પદ મૃત્યુ અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું કે મમતાબેનના પતિ શંકરભાઈ ગાયકવાડે ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈ લાકડાના પાટ્યા વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે મમતાબેનનું મૃત્યુ થયું હતું. મમતાબેનના લગ્ન અંદાજે 12 વર્ષ અગાઉ શંકરભાઈ ગાયકવાડ સાથે થયા હતા અને તેમને બે સંતાનો પણ છે. લગ્નજીવન દરમિયાન શંકરભાઈ મમતાબેન પર અકારણ શંકા કરતા હતા, જેના કારણે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. સમાજના આગેવાનો અને પંચો દ્વારા અનેક વખત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ શંકરભાઈના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો. ફરિયાદ મળતાની સાથે જ વઘઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શંકરભાઈ ગાયકવાડની ધરપકડ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળ પરથી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. PSI ડી.ડી. વસાવા અને હેડ કોન્સ્ટેબલ રમણિકભાઈએ આ કેસની સઘન તપાસ કરી હતી અને સાક્ષીઓના નિવેદનો, તબીબી અહેવાલો તથા અન્ય પુરાવાઓના આધારે મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આશરે સાડા પાંચ વર્ષ સુધી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ, નામદાર કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી શંકરભાઈ ગાયકવાડને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે.
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે એક બ્લેક કલરની સ્કોર્પિયો મોટરકાર દ્વારા ભયજનક સ્ટંટ કરવામાં આવ્યો હતો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ઓખા મરીન પોલીસના ધ્યાને આવતા, તેઓએ જી.જે. 17 સી.ઈ. 2248 નંબરની સ્કોર્પિયો મોટરકારની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારનો માલિક પંચમહાલ વિસ્તારનો છે, જેથી ઓખા પોલીસે પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કાર ચાલક કૌશિક મોહનભાઈ બારીયા નામના શખ્સની ઓળખ થઈ હતી. પોલીસે તેનું વાહન ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે વાહન ચાલકોને નિયમોનું ઉલ્લંઘન ન કરવા અને આવા ભયજનક સ્ટંટ ન કરવા અપીલ કરી છે.
વડોદરા શહેર તથા આસપાસના જીલ્લાઓમાં ઘરફોડ અને વાહન ચોરી સહિતના મળીને 101 ગુનાને અંજામ આપતી સિકલીગર ગેંગના રીઢા આરોપીઓની સંગઠીત ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં 8 આરોપી પૈકી 5 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક આરોપી જેલમાં છે અને બે આરોપી ફરાર છે. વડોદરા અને શહેરની આસપાસના તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં રાત્રીના સમયે ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ મોટાભાગે ગેંગ દ્વારા ભેગા મળીને આચરવામાં આવતા હોવાનું વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ધ્યાન પર આવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ગુજસીટોક હેઠળ ગુનો આચરતી ટોળકીના સભ્યો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી તેનો ગુનાઇત રેકર્ડની ઉંડાણપૂર્વક ચકાસણી કરાઇ હતી. આરોપીઓ પૈકીના અજયસીંગ દર્શનસીંગ દુધાણી (સિકલીગર)એ તેના અન્ય સાગરીતો જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી (સીકલીગર), અર્જુનસિંગ ઉર્ફે કથ્થોડ દર્શનર્સિંગ દુધાણી (સિકલીગર), શમશેરસિંગ ઉર્ફે હબ્બર્સિંગ માનસિંગ પ્રેમસિંગ સીકલીગર (ટાંક), પ્રકાશ વિજયભાઇ રાજપુત, સન્નીસિંગ દર્શનર્સિંગ દુધાણી (સિકલીગર), કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનર્સિંગ દુધાણી (સીકલીગર), શંકર સોનુ મારવાડી તમામ (રહે.વડોદરા) સાથે મળી વડોદરા શહેર અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓના વિસ્તારોમાં ઘરફોડ અને ચોરી સહિત ગંભીર પ્રકારના શરીર સબંધી મળી 101 ગુનાઓ છેલ્લા 10 વર્ષમાં આચરી ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. આ તમામ આરોપીઓએ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા અરજીઓ કરે છે. આરોપીઓ દ્વારા જામીન ઉપર મુક્ત થયા બાદ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલું રાખે છે. આમ 8 આરોપીઓની ટોળકી સામે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.ડી.તુવરે ગુજસીટોકની ફરીયાદ દાખલ કરવામાં આવ્યું છે. સી ડીવીઝનના ACP એ.પી.રાઠવા દ્વારા ગુજસીટોકના આ ગુનાની તપાસ શરૂ કરાઇ છે. પકડાયેલા આરોપીઓના નામ અજયસિંગ દર્શન સિંગ દુધાણી (રહે. વારસીયા સરકારી વીમા દવાખાના પાછળ ખારી તલાવડી પાસે વડોદરા) જસપાલસિંગ ઉર્ફે બચ્ચસિંગ દુધાણી (રહે. વારશિયા સરકારી વીમા દવાખાના પાછળ ખારી તલાવડી પાસે વડોદરા) અર્જુનસિંગ ઉર્ફે કથ્થોડ દર્શનર્સિંગ દુધાણી (રહે. વારશિયા સરકારી વીમા દવાખાના પાછળ ખારી તલાવડી પાસે વડોદરા) શમશેરસિંગ ઉર્ફે હબ્બસિંગ માનસિંગ સીકલીગર (ટાંક) (રહે. ભાયલી ગામ હરસિધ્ધી માતાના મંદીર પાસે તા.જી. વડોદરા. મુળ રહે.વારસીયા ભુંડવાળા વિમા દવાખાનાની પાછળ વડોદરા) પ્રકાશ વિજયભાઇ રાજપુત (રહે. વિમા દવાખાના ભુંડવાસ પોપ્યુલર બેકરી પાસે વારસીયા વડોદરા) સન્નીસિંગ દર્શનર્સિંગ દુધાણી (રહે. વિમા દવાખાના ભુંડવાસ વારસીયા વડોદરા) કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી (રહે. વિમા દવાખાના ભુંડવાસ વારસીયા વડોદરા) શંકર સોનુભાઇ મારવાડી (રહે.કાળી તલાવડી વિમા દવાખાના પાસે વારસીયા વડોદરા) 8 આરોપી પૈકીના અર્જુનસિંહ દુધાણી, પ્રકાશ રાજપૂત, સન્નસિંગ દુધાણી, કરણસિંહ દુધાણી અને શંકર મારવાડીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અજયસિંગ દુધાણી હાલમાં ગોધરા જેલમાં છે. જશપાલસિંગ દુધાણી અને શમશેરસિંગ દુધાણીની હજુ ધરપકડ કરવાની બાકી છે. પકડાયેલા આરોપી ટોળકીનો એકબીજા સાથે સંબંધ 1. અજયસીંગ, અર્જુનસિંગ, સન્નીસિંગ, કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ સગા ભાઇઓ છે. 2. જશપાલસિંગ આરોપી અજયસીંગ, અર્જુનર્સિંગ, સન્નીસિંગ, કરણસિંગનો પિતરાઇ ભાઇ થાય છે. 3. શમશેરસિંગ ઉર્ફે ઢબ્બસિંગ અન્ય પાંચ શિકલીગર આરોપીઓનો જ્ઞાતીમાં કૌટુંબીક સગા 4. આરોપી પ્રકાશ અને શંકર શિકલીગર આરોપીઓના ઘરની નજીક રહેતા હોય એકબીજાના મિત્રો છે.
પાટડીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી એક નિવૃત્ત તલાટીના રૂ. 85,000 રોકડા ભરેલી થેલીની ચોરી થઈ હતી. ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ પાટડી પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટના બુધવારે બપોરના સમયે બની હતી. પાટડી તાલુકાના ગવાણા ગામના 65 વર્ષીય નિવૃત્ત તલાટી કે.જી. સાગર પાટડીની SBI શાખામાંથી રૂ. 85,000 ઉપાડીને પાટડી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી રહ્યા હતા. બેંકમાંથી જ રેકી કરીને તેમની પાછળ આવી રહેલા એક અંદાજે 20થી 22 વર્ષના યુવકે તલાટી સાગરનું બાઈક ઢાળ પર ચડતું ન હોવાનું જોઈ મદદ કરવાની ઓફર કરી હતી. યુવકે બાઈકને પાછળથી ધક્કો મારવાના બહાને તલાટીના હાથમાંથી રૂ. 85,000 ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો. થેલો ઝૂંટવીને યુવક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નિવૃત્ત તલાટીએ બૂમાબૂમ કરી તે પહેલા જ ચોર ભાગી છૂટ્યો હતો. આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસતા તલાટીએ ચોરને ઓળખી બતાવ્યો હતો. આ અંગે પાટડી પોલીસ મથકે જાણ કરવામાં આવતા, પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પાટડી વિસ્તારમાં બેંકમાંથી નાણાં ઉપાડીને આવતા લોકો પાસેથી નાણાં તફડાવતી ગેંગ સક્રિય હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે.
સાંસદ પૂનમબેન માડમે 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM-G' યોજના વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજના ગ્રામીણ ગરીબો અને શ્રમિકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. આ યોજના સંસદમાં પસાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામીણ શ્રમિકોને 125 દિવસના કામની ગેરંટી મળશે. અગાઉની મનરેગા યોજનામાં 100 દિવસનું કામ મળતું હતું, જ્યારે VB-G RAM-G યોજનામાં 25 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. યોજના કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવે છે. વાવણી અને કાપણીની મોસમ દરમિયાન 60 દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઈ છે, જેથી શ્રમિકો ખેતીનું કામ કરી શકે. આમ, VB-G RAM-G હેઠળના 125 દિવસ અને ખેતીની સિઝનના 60 દિવસ મળીને કુલ 185 દિવસની રોજગારી મળી શકશે. સાંસદ માડમે વધુમાં જણાવ્યું કે, આ યોજનામાં કેન્દ્ર સરકારથી ગ્રામ પંચાયત સુધી વિકાસની સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનશે, જે ગ્રામ સ્વરાજના સંકલ્પને સાકાર કરશે. આનાથી સંતુલિત વિકાસની દિશામાં આગળ વધી શકાશે. યોજનામાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણનો સમાવેશ થાય છે. યોજનાના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, જીઓટેગિંગ અને રિયલ ટાઇમ ડેશબોર્ડ દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત થશે. વેતનની સમયસર ચૂકવણી થાય તે માટે વિલંબના કિસ્સામાં વળતરની પણ જોગવાઈ છે. પૂનમબેન માડમે ભારપૂર્વક જણાવ્યું કે, 'વિકસિત ભારત જી રામ જી યોજના' શ્રમનું સન્માન છે અને ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર હાથ કો કામ, હર કામ કા સન્માન'ના વિઝનને સાકાર કરવામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025' ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકારનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્વપુર્ણ સંસ્થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું કર્તવ્ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્યું છે.
5441 પતંગોથી ‘અંગદાન મહાદાન’નો સંદેશ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસે સેવાભાવની અનોખી ઉજવણી
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41માં જન્મદિવસની ઉજવણી પરંપરાગત શુભેચ્છાઓથી આગળ વધી એક પ્રેરણાદાયી સામાજિક અભિયાન બની. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અંગદાન અંગે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી ‘અંગદાન મહાદાન’ અંકિત 5,441 પતંગોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું. જન્મદિવસને વ્યક્તિગત આનંદ નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી તરીકે ઉજવવો નાયબ મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટુડન્ટ્સ તથા સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અવસરે તેમણે અંગદાનને લગતી અંધશ્રદ્ધાઓ દૂર કરવા અને વધુમાં વધુ નાગરિકો અંગદાનનો સંકલ્પ લે તે માટે ટ્રસ્ટની કામગીરીને બિરદાવતા કહ્યું કે, જન્મદિવસને વ્યક્તિગત આનંદ નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી તરીકે ઉજવવો એ સાચો અર્થ છે. એક જ નિર્ણય દ્વારા આઠ લોકોને નવી જિંદગી મળી શકેઅંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે, પતંગો માત્ર આકાશમાં ઉડાવવા માટે નથી, પરંતુ સમાજમાં માનવતાનો સંદેશ પહોંચાડવાનું માધ્યમ છે. બ્રેઈન ડેડ જાહેર થયેલા વ્યક્તિનું અંગદાન થવાથી એક જ નિર્ણય દ્વારા આઠ લોકોને નવી જિંદગી મળી શકે છે. આ સમજણ લોકો સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય છે. સેવા, સંવેદના અને સામાજિક જાગૃતિ સાથે યોજાયેલી આ ઉજવણીએ જન્મદિવસને માનવતાની નવી ઊંચાઈ આપી હતી.
પાટણ કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં સંસદમાં પસાર કરાયેલા વીબી-જી રામ જી અધિનિયમ, 2025 હેઠળ ગ્રામીણ પરિવારો માટે રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. પાટણ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ “વિકસિત ભારત – રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) : વીબી–જી રામ જી અધિનિયમ, 2025” દેશના ગ્રામીણ પરિવારો માટે નિર્ણાયક સાબિત થશે. આ નવા કાયદા મુજબ હવે દરેક પાત્ર ગ્રામીણ પરિવારને વર્ષમાં 125 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત બેરોજગારી ભથ્થાનો અધિકાર, વેતનની સમયસર ચુકવણી અને ગ્રામ્ય સ્તરે યોજના નિર્માણ માટે સ્વાયત્તતા જેવી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટી ખર્ચની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી યોજનાનું અમલીકરણ વધુ અસરકારક રીતે થઈ શકે. આ અધિનિયમ હેઠળ મુખ્યત્વે ચાર કેટેગરીમાં કામો વહેંચવામાં આવ્યા છે, જેમાં જળ સુરક્ષા અને સંરક્ષણ, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા વૃદ્ધિ તેમજ આબોહવા પરિવર્તન સામે પ્રતિકારકતા ધરાવતા કામોનો સમાવેશ થાય છે. આ કામો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની સાથે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને પારદર્શિતા વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કૃષિ ક્ષેત્ર અને મજૂર શક્તિ વચ્ચે યોગ્ય સંકલન સાધીને ટકાઉ આજીવિકા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બલવંતસિંહ રાજપૂત, કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ તેમજ નાયબ નિયામક આર.કે. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ઉમેર્યું હતું કે આ મિશન દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોનું સશક્તિકરણ થશે અને વિકાસના નવા દ્વાર ખુલશે.
પાટણ સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે રૂ. 10.31 લાખની છેતરપિંડી આચરનાર એક આરોપીને પોરબંદરથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં વધુ નફો કમાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. ફરિયાદીને 07/11/2025 ના રોજ વિવેક શર્મા નામના શખ્સે ફોન કરીને શેર માર્કેટ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી હતી. શરૂઆતમાં ફરિયાદીએ રૂ. 5,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ 'WEALTH SECURITY' નામની એપ્લિકેશન દ્વારા ટ્રેડિંગ કરાવવાનું કહી રજત અને વાસુભાઈ પટેલ નામના અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. આ તમામ આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતીને જુદી જુદી તારીખોએ કુલ રૂ. 10,31,000 પડાવી લીધા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ રકમ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી, જે ખાતું ઓડેદરા સરમન મેહેન્દ્રભાઈના નામે હતું. પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ખાતાધારક સરમણ મેણંદભાઈ માલદેભાઈ ઓડેદરાને પોરબંદરના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામેથી ઝડપી પાડ્યો છે. આ મામલે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે.
ખંભાળિયા વિસ્તારમાં તાજેતરમાં ઝડપાયેલા ગૌમાંસ પ્રકરણમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ તમામ શખ્સોને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં ગૌહત્યા અને ગૌમાંસના ખરીદ-વેચાણનો ખુલાસો થયો હતો. આ ચકચારી પ્રકરણ થોડા સમય પૂર્વે ખંભાળિયા વિસ્તારમાં ગૌમાંસ ઝડપાતા પ્રકાશમાં આવ્યું હતું. પોલીસ ફરિયાદ બાદ તપાસમાં ગૌહત્યાનું કૃત્ય પણ સામે આવ્યું હતું. સ્થાનિક પોલીસે તે સમયે સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાના આધારે, ગૌવંશની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરતા આવા ક્રૂર આસામીઓના ગુનાહિત ઇતિહાસની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા અને તેમની ટીમે આ અંગે અસરકારક પગલાં લેવા કાર્યવાહી કરી. આ કાર્યવાહી અંતર્ગત ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામના ચાર શખ્સો - અબ્દુલ ઉર્ફે બારકો જુસબ સમા (ઉ.વ. 38), રિઝવાન ઉર્ફે આમીન ઉર્ફે કારીયો નુરમામદ ઘુઘા (ઉ.વ. 29), ફારૂક મુસા ઘાવડા (ઉ.વ. 40) અને ઓસમાણ ઉર્ફે ભૂટો જુસબ ઘુઘા (ઉ.વ. 40) - તેમજ ખંભાળિયા તાલુકાના સલાયા ગામના સલીમ ઈશાક સુંભણીયા (ઉ.વ. 50) સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત જિલ્લા કલેકટર રાજેશ તન્ના સમક્ષ રજૂ કરવામાં આવી. જિલ્લાની શાંતિ જાળવવા અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુસર, ઉપરોક્ત પાંચેય શખ્સોની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી અને અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા. એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમે આ શખ્સોની અટકાયત કરી, વોરંટની બજવણી કરી. ત્યારબાદ, આ પાંચેય શખ્સોને રાઉન્ડ અપ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા. અબ્દુલ સમાને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ, રિઝવાન ઉર્ફે આમીનને વડોદરાની મધ્યસ્થ જેલ, ફારૂક મુસાને પાલનપુર જિલ્લા જેલ, ઓસમાણ ઉર્ફે ભૂટો જુસબને ભાવનગર જિલ્લા જેલ અને સલીમ ઈશાકને કચ્છ-ભુજની પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં નાયબ કલેક્ટર મનોજકુમાર દેસાઈ, પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ સ્ટાફના નિલેશભાઈ કરમુર, બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, સચિનભાઈ, કિરપાલસિંહ, જયદેવસિંહ, પરેશભાઈ અને શક્તિસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
સંસદના શીતકાલિન સત્રમાં 'વિકસીત ભારત-રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) જી રામ જી' બિલ વિપક્ષના વિરોધ વચ્ચે પસાર થયું છે. આ નવા અધિનિયમ હેઠળ, ગ્રામીણ પ્રજાને મળતી રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને સીધો ફાયદો પહોંચાડશે. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં 'વિકસીત ભારત જી રામ જી આજીવિકા મિશન' અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે અગાઉના અધિનિયમ એટલે કે નરેગા યોજના હેઠળ બેરોજગારી ભથ્થું મેળવવા માટે અનેક આકરી શરતોનું પાલન કરવું પડતું હતું. જોકે, હવે 'જી રામ જી અધિનિયમ 2025'માં આ તમામ પ્રતિબંધો દૂર કરાયા છે. આથી, કામ માંગ્યા પછી જો રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું આપોઆપ ચૂકવાશે. આનાથી રોજગારનો અધિકાર કાયદાકીય અધિકાર બની જશે. અગાઉ સરકારની આ યોજના હેઠળ કામ કરનાર શ્રમિકોને વેતન ન મળ્યું હોવાની વ્યાપક ફરિયાદો થતી હતી. પરંતુ હવેથી વેતનની ચુકવણીમાં વિલંબના દરેક દિવસનું વળતર વેતન સાથે ચૂકવાશે. આ ઉપરાંત, જી રામ જી આજીવિકા મિશનમાં ગ્રામજનોની ભાગીદારી અનિવાર્ય રહેશે. આ મિશન હેઠળ જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામો, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા વૃદ્ધિ અને આબોહવા પરિવર્તન તથા પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકારકતાના કામો કરવામાં સરળતા રહેશે. આ ચારેય ક્ષેત્રો મળીને વિકાસ, સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાનો આધાર બનશે. આ અધિનિયમમાં રાજ્ય સરકારને વાવણી અને લણણી સંબંધિત કૃષિ પ્રવૃત્તિઓ માટે 60 દિવસની અવધિ નક્કી કરવાની સત્તા રહેશે. નવા અધિનિયમના કારણે વહીવટી ખર્ચની મર્યાદા 6 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવી છે, જેથી નરેગા હેઠળ ચાલી રહેલા તમામ કામો બંધ નહીં થાય અને કામમાં પણ અડચણ આવશે નહીં. સંસદના શીતકાલિન સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ જી રામ જી યોજનાનો સખત વિરોધ કર્યો હતો. તેમ છતાં, સંસદમાં આ બિલ બહુમતીથી પસાર થતાં તે કાયદો બન્યો છે. હિંમતનગર ખાતે યોજાયેલ સાંસદ સાથેની વાતચીત દરમિયાન હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિસેમ્બર 2025ની એ ઠંડી રાત હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનમાં માદુરો અને તેમનાં પત્ની ઊંઘતાં હતાં. બરાબર એ જ સમયે અમેરિકાની સેના ત્રાટકી. આંતરરાષ્ટ્રીય કાયદાને લાત મારી, કોઈપણ લડાઈ વગર, એક દેશના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને બેડરૂમમાંથી ઊઠાવી લીધાં. અમેરિકાએ કહી દીધું છે કે હવે વેનેઝુએલાનું ઓઇલ અમારું છે. આ વેનેઝુએલાનું સત્તા પરિવર્તન નથી પણ ટ્રમ્પની ખુલ્લેઆમ કોઈ દેશ અને તેના સંસાધનો હડપી લેવાની નીતિ છે. ગુજરાતમાં સવારે નવથી પાંચની જોબ કરીને ઘર ચલાવતા વ્યક્તિને કે સુરતના વરાછાની સાંકડી ગલીમાં હીરા ઘસતા રત્નકલાકારને એ જાણવું જરૂરી છે કે વિશ્વમાં શું ખેલ ખેલાઈ રહ્યા છે. કારણ કે તેની અસર તમામ લોકોનાં રસોડામાં રહેલા તેલના ડબ્બાથી લઈને બાઈક કે ગાડીમાં પૂરાતાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે છે. ટ્રમ્પની ગુંડાગર્દીની અસર વેનેઝુએલામાં જ નથી અનુભવાઈ પણ ભારતના સ્ટોકમાર્કેટ અને સામાન્ય માણસના જીવન પર પણ અનુભવાઈ શકે છે. અમેરિકાએ બીજા દેશ પર કરેલું આક્રમણ એ માત્ર બે દેશોની સરહદોનો મામલો નથી, પણ આપણા ધંધા અને ગુજરાતીઓના ગજવા પર સીધો પ્રહાર છે. આજે વર્લ્ડ ઓર્ડરની પરિસ્થિતિ એવી છે કે વોશિંગ્ટનમાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પ છીંક ખાય તો ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોને શરદી થઈ શકે છે. વેનેઝુએલામાં અમેરિકાએ રાતોરાત રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવી લીધા. આ કોઈ દેશના સાર્વભૌમત્વનો અંત નથી પણ ભારત સહિત દુનિયાની વિદેશ નીતિ પર પણ લટકતી તલવાર છે કારણ કે હમણા જ થોડા દિવસ ટ્રમ્પે કહ્યું હતું કે મોદી મારા સારા મિત્ર છે. તેમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ના ખરીદવું જોઈએ બાકી એક્શન લેવાશે. જો આવું થાય તો આપણા ધંધાનું શું? ટૂંકમાં ટ્રમ્પની રડારમાં પાંચથી છ દેશ છે જેના પર કબજો જમાવી લેવો છે. દુનિયા આ બધુ જાણે છે છતાં ચૂપ છે. આજે આપણે વાત કરવી છે કે ટ્રમ્પ આવા નિવેદનો અને એક્શન કેમ કરી રહ્યા છે? નમસ્કાર.... આજથી બરાબર 203 વર્ષ પહેલાં 1823માં જેમ્સ મનરો નામના એક અમેરિકન વ્યક્તિ સિદ્ધાંત લાવ્યા હતા જેનું નામ છે મનરો ડોક્ટ્રીન. જેનો અર્થ હતો કે અમેરિકા ખંડમાં યુરોપ દખલ ન કરે. આજે તે જ દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને બદલીને ડોનરો ડોક્ટ્રીન લાવ્યા છે. એ સમયે ઇરાદો અમેરિકાનું રક્ષણ કરવાનો હતો પણ આજે સોફ્ટ પાવરની જગ્યા ટ્રમ્પની હાર્ડ પાવરની ગુંડાગીરીએ લઈ લીધી છે. એટલે કે, બીજા દેશોની મિલકતો અને સંપ્રભુતા પર અમેરિકાનો કબજો. ચોંકાવનારી વાત એ છે કે જગત જમાદાર ટ્રમ્પ સામે બોલવાની કોઈ પણ દેશની હિંમત નથી. ટ્રમ્પની રડારમાં 6 દેશ અમેરિકન આક્રમણના ઈતિહાસની કાળી ચીઠ્ઠી અમેરિકાનો ઈતિહાસ ફંફોળીએ તો જાણવા મળે છે કે 1846થી 2026 સુધી અમેરિકાએ 16થી વધુ દેશો પર સીધી અથવા આડકતરી રીતે આક્રમણ કર્યા છે. જેણે વિશ્વની ઈકોનોમીને હચમચાવી દીધી હતી. નાનાં ઓપરેશન્સની વાત કરીએ તો 1950 પછી અમેરિકાએ 400થી વધુ મિલિટરી ઓપરેશન કર્યાં છે જેની કોઈ મોટી અસર આપણા ઘરની તિજોરી સુધી થઈ છે. એક ગુજરાતી તરીકે આપણને સવાલ થાય કે આપણે કેટલા લેવાદેવા? આમાં આપણે શું નુકસાન? તો આપણે જાણવું જરૂરી છે કે આ ટ્રમ્પની કોઈ રાજરમત નથી પણ ઓન્લી બિઝનેસ છે. મોટા ભાગના લોકો કયા દેશ પર હુમલો કરે છે તે જ જાણે છે પણ એ નથી જાણતા કે ટ્રમ્પ આ બધુ ચૂંટણીમાં સતત મળતી હારને જીતમાં બદલવા માટે કરી રહ્યા છે. 20 જાન્યુઆરી 2026ના રોજ ટ્રમ્પનાં બીજા શાસનને એક વર્ષ પૂરું થાય છે. 2025માં અમેરિકામાં જૂદી જૂદી 9 ચૂંટણી યોજાઈ, જેમાં 33% ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી જીતી છે અને 67%માં હારનો સામનો કરવો પડ્યો છે. યર ઓફ ઈલેક્શન્સમાં પણ મિસિસિપી, આયોવા અને વર્જિનિયામાં ટ્રમ્પના ભૂંડા હાલ થયા છે. લોકલ ઇલેક્શનમાં ભૂંડા હાલવર્જિનિયાના ગવર્નરની ચૂંટણીમાં હાર ન્યૂજર્સીના ગવર્નરની ચૂંટણીમાં હાર ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં હાર સિનસિનાટીના મેયરની ચૂંટણીમાં હાર પીટ્સબર્ગના મેયરની ચૂંટણીમાં હારવાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના ભાઈની ભૂંડી હાર સિનસિનાટી મેયર ચૂંટણીમાં અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ અને ભારતના જમાઈ જેડી વેન્સના ભાઈ કોરી બોમેનની ભૂંડી હાર થઈ અને ડેમોક્રેટ અફતાબ પુરેવાલ ફરીથી મેયર તરીકે ચૂંટાયા. સામેની બાજુ હાર્ડકોર રિપબ્લિકન ગઢમાં પણ તિરાડો પડી છે. હારની બાજી જીતવા ટ્રમ્પનાં હવાતિયાં 9 મહત્વની ચૂંટણીની આપણે વાત કરી તેને યર ઓફ ઈલેક્શન કહેવાય જે રાષ્ટ્રપતિ ચૂંટાય પછી ગવર્નર અને બીજા પદો માટે થાય છે. એ પછી સૌથી મહત્વની ચૂંટણી જેને મિડ ટર્મ ઈલેક્શન કહેવાય છે એ આવે છે. અમેરિકાના મિડ ટર્મ ઈલેક્શનનો ટ્રેન્ડ જોઇએ તો અત્યાર સુધી સત્તા પક્ષ જ મિડ ટર્મમાં હાર્યો છે. જાણીને નવાઈ લાગશે પણ આ જ વર્ષે મિડ ટર્મ ઈલેક્શન છે. ટૂંકમાં અમેરિકન વલણ અને ભૂતકાળ મુજબ તો ટ્રમ્પની ભારે પીટાઈ થવાની છે. માટે જ આપણે અગાઉ વાત કરી તે મુજબ ટ્રમ્પ પાંચ દેશો પર મિલિટરી કે બીજી કોઈ રીતે હુમલો કરવાના બણગાં ફૂંકી રહ્યા છે. જેના લીધે આવનાર મિડ ટર્મની હારની બાજી જીતમાં ફેરવી શકાય. અમેરિકન આંકડાઓ મુજબ મિડ ટર્મ ચૂંટણીમાં હાર-જીતનો અંદાજો લગાવીએ તો… 2026ની ચૂંટણી માટે પ્રોજેક્શન વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને 14% લીડ શક્ય (Source: NPR/Marist, Reuters/Ipsos/Gallup) ટ્રમ્પની સંસદમાં હાર નક્કી? કારણ કે મિડલ ક્લાસ વોટર્સ અને ઈન્ડિપેન્ડેન્ટ વોટર્સ ટ્રમ્પથી દૂર જઈ રહ્યા છે. ટ્રમ્પની રિપબ્લિકન્સ પાર્ટીને સંસદમાં હાર ચોખ્ખી દેખાઈ રહી છે માટે જ પાંચ દેશો પર હુમલાઓ કરવાની વાતો કરી રહ્યા છે. મીડ ટર્મ ઈલેક્શન પહેલા અમેરિકન્સ રિસર્ચ પેપર્સના આંકડા ટ્રમ્પને ધ્રુજાવી દે તેવા છે. અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારીના કારણે હાલ લોકોમાં ખૂબ જ આર્થિક અસંતોષ છે. સર્વે શું કહે છે? 70% લોકો મોંઘવારીથી ત્રસ્ત (Source: PBS News/NPR/Al Jazeera/Marist) હવે જે પાંચેય દેશો ટ્રમ્પના હોટ લિસ્ટમાં છે ત્યાં હુમલો કરવાનો કે સત્તા જમાવવાનો ટ્રમ્પનો રાજકીય ઉદ્દેશ્ય સમજીએ. વેનેઝુએલામાં પેટ્રોલ ડીઝલ પ્રોસેસ થશે તો અમેરિકાને જ સસ્તુ ઓઇલ મળવાનું છે. આ રીતે નાગરિકોને ખુશ કરી મિડ ટર્મની હાર જીતમાં ફેરવી શકાય ગ્રીનલેન્ડના સોના પર ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડમાં રેર અર્થ મિનરલ્સ પણ છે અને તે આર્કટિકનો છેડો પણ છે. રેર અર્થ મિનરલ્સ એટલે સોના અને સેમિકન્ડક્ટર કરતા પણ કિંમતી વસ્તુ. અહીં અમેરિકા કબજો કરે તો રશિયાનો અમેરિકા સુધીનો દરિયાઈ સામ્રાજ્ય જોખમમાં આવે. અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરના પત્ની કેટી મિલરે હમણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ટ્વીટ કરી હતી. જેનો અર્થ થાય છે જલદી જ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું રાજ હશે. ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ એકજુટ આ ડેનમાર્ક સહિત યુરોપિયન યુનિયનને આંખમાં કણાંની જેમ ખૂંચ્યું હતું. કારણ કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો ભાગ છે. અને ડેનમાર્ક અમેરિકા સહિત નાટોનું સભ્ય છે. જો અમેરિકા ગ્રીનલેન્ડ હડપી લે તો ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે કોઈ નાટો સભ્ય દેશે બીજા નાટો સભ્ય દેશના વિસ્તારને હડપી લીધો હોય. આપણે વર્લ્ડવોર 2-3 વચ્ચે છીએ જો ગ્રીનલેન્ડ પર અમેરિકા સૈન્ય ઉતારે, તો નાટો NATOના ચીંથરેચીંથરા ઉડી જશે. અને જો નાટો તૂટે, તો રશિયા આખું યુક્રેન હડપી લેશે અને ચીન તાઈવાન પર બોમ્બમારો શરૂ કરી દેશે. આ એક ચેઈન રિએક્શન છે જે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું છે. અને આપણે વર્લ્ડ વોર 2 અને વર્લ્ડ વોર 3 વચ્ચે શ્વાસ લઈ રહ્યા છીએ. ખૌમેની ઈરાન છોડી દેશે? ઈરાનની વાત કરીએ તેના સુપ્રીમ લીડર ખોમૈની દેશ છોડીને ભાગી જવાના છે એવી અટકળો ચાલી રહી છે. સૌ જાણે છે કે ખૌમેની ઈઝરાયલ અને અમેરિકા વિરોધી છે અને પરમાણું પ્રેમી પણ છે. ઈરાનની પરમાણું જીદ છોડાવવા ટ્રમ્પ આવું કરી શકે છે. મેક્સિકો અને ડ્રગ્સ કાર્ટેલ મેક્સિકોની વાત કરીએ તો અહીં અમેરિકાની સીમા સુરક્ષાની વાત આવી જાય છે, કારણ કે તે અમેરિકાના જ આંગણાનો પ્રદેશ છે. બીજું કે અહીં ડ્રગ્સની પણ મોટી સમસ્યા છે કારણ કે તે અમેરિકામાં સપ્લાય થઈ રહ્યું છે જેનાં કારણે અમેરિકન્સ નશેડી બની રહ્યા છે. કોલંબિયામાં પણ ડ્રગ્સ કાર્ટેલનો પ્રોબ્લમ છે અને તે પણ જીઓગ્રાફિકલી અમેરિકાના પ્રભુત્વ વિસ્તાર નજીક જ છે. ક્યૂબાથી રશિયા-ચીનનો છૂટકારો ક્યૂબાની વાત વૈચારિક અને જીઓપોલિટિકલ છે. અમેરિકાની વિચારધારા અને ક્યૂબાની વિચારધારામાં જમીન આસમાનનો ફરક છે. ક્યુબામાં રશિયાની જેમ સામ્યવાદનો વૈચારિક દબદબો છે. જેનો અંત અમેરિકા માટે અતિ મહત્વનો છે જેથી ચીન અને રશિયાના વધતા પ્રભુત્વને ક્યૂબાના મૂળમાંથી સફાયો કરી શકાય. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ક્યૂબાના છે. જે ખુદ માને છે કે ક્યૂબા અને વેનેઝુએલાની સરકારો મોટી સમસ્યાઓ છે, જેને દૂર કરવી જોઈએ. અમેરિકા ગ્લોબલ લીડર નહીં ગ્લોબલ વિલન સામેની બાજુ ગઈકાલે અમેરિકાના સિનિયર પોલિટિશિયન બર્ની સેન્ડર્સે આ ટ્વીટ કરી હતી અને વેનેઝુએલા સ્ટ્રાઈકને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે અમેરિકા ગ્લોબલ લીડરમાંથી ગ્લોબલ વિલન બની રહ્યું છે. યુરોપ પણ અમેરિકાના એક્શન્સથી દુવિધામાં છે. જો કે સ્પેને ટ્રમ્પનો ખુલીને વિરોધ કર્યો છે. બીજી બાજુ ફ્રાન્સ અને જર્મની ટ્રમ્પની નિંદા કરવાનું ટાળી મૌન જ સેવી રહ્યા છે. ભારતના પગ દૂધ-દહીમાં આ મામલે વિશ્વની સાથે ભારત પણ અત્યારે દૂધ અને દહીંમાં પગ રાખી રહ્યું છે. ટ્રમ્પે હમણા થોડા દિવસો પહેલા જ ભારતને ધમકી આપી છે કે જો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરો, તો ભારતીય સામાન પર 25% ટેરિફ લાદી દેવામાં આવશે. ટ્રમ્પની આ સંસ્કારી રાજદ્વારી ભાષાથી હાલ ભારત સહિત દુનિયાના મોટા ભાગના નેતાઓ ડરી રહ્યા છે. ટ્રમ્પને નહીં રોકાય તો નવું વિશ્વયુદ્ધ દરવાજા પર હશે વિશ્વમાં અત્યારે જે ચાલી રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે. જો ટ્રમ્પ આ બધુ કરવામાં સફળ રહે છે તો દુનિયામાં સોવર્નિટી અથવા સાર્વભૌમત્વ શબ્દનો કોઈ અર્થ જ નહીં રહે. જેની પાસે મોટું લશ્કર તેની સત્તાના જૂના જમાનામાં આપણે આવી જઈશું. અત્યારે આપણે સેમિકન્ડક્ટર હબમાં લીડર બનવા માગીએ છીએ પણ જો અમેરિકાની આક્રામક નીતિની જેમ આવતીકાલે ચીન તાઈવાન હડપી લે તો આપણું સેમિકન્ડક્ટર હબ બનવાનું સપનાના ચીંથરા ઉડી જશે. કારણ કે વિશ્વના 90 ટકા સેમિકન્ડક્ટર રાયના દાણા જેવડું તાઈવાન જ બનાવી રહ્યું છે. ભારતને ખરા અર્થમાં આત્મનિર્ભર અને મેડ ઈન ઈન્ડિયાના સૂત્રથી ઉપર ઉઠીને પોતાની ઈન્ડિપેન્ડેન્ટ બનવાની ગતિ 100 ગણી વધારવી પડશે. અને છેલ્લે.... આપણે ગર્વથી કહીએ છીએ કે ભારત વિશ્વગુરુ છે. પણ વિશ્વગુરુનો અર્થ માત્ર આર્થિક પ્રગતિ નથી, પણ નૈતિક હિંમત પણ છે. આઝાદી પછી 1950ના સમયમાં ભારતે કોરિયા અને વિયેતનામ મુદ્દે જે સ્પષ્ટ વલણ રાખ્યું હતું તેવી હિંમત ભારતે અને વિશ્વએ આજે પણ દેખાડવી પડશે. જો વિશ્વ હવે ચૂપ રહેશે તો કાલે રશિયા યુક્રેન પર, ચાઈના તાઈવાન પર અને બીજા દેશો પણ એકબીજા પર લોહી તરસ્યા દુશ્મનની જેમ તૂટી પડશે. કોઈ એક હિંમત કરીને આગળ આવશે તો 100 પાછળ લાઈનમાં ઉભા રહેશે. શરૂઆત તો કોઈએ કરવી પડશે ચાહે એ ભારત હોય, ચીન હોય, રશિયા હોય કે યુનાઈટેડ નેશન્સ હોય બાકી ટ્રમ્પ દુનિયાનો ભરડો લઈ લેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ સમીર પરમાર)
પાલેજ પોલીસે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.) જવા માટે ખોટા લગ્ન તથા છુટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી કબૂતરબાજી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી વકીલ સહિત ચાર સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી. પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અરજીની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, વલણનો અને હાલ યુ.કે. રહેતો રીઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની તથા હાલ યુ.કે.માં રહેતી તસ્લીમાબાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા. આ માટે આરોપીઓએ ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું. તપાસમાં વધુ ખુલ્યું કે, રીઝવાન મેદાએ એજન્ટ સોયેબ દાઉદ ઇખ્ખરીયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમાબાનુની યુ.કે.વિઝા અરજી કરવાની સૂચના આપી હતી. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમાબાનુએ ખોટું લગ્ન સર્ટિફિકેટ એજન્ટને રજૂ કરતાં, ડિપેન્ડન્ટ વિઝા હેઠળ રીઝવાન મેદાને યુ.કે. બોલાવી લેવાયો હતો. આ બાદ પૈસાની લેતી-દેતીના મુદ્દે આરોપીઓ વચ્ચે આંતરિક વિવાદ સર્જાતા, રીઝવાન મેદાએ અરજદાર મિન્હાજ યાકુબ ઉઘરાદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરીયાદ અરજી રજૂ કરી હતી. વધુમાં, તસ્લીમાબાનુના સગા ભાઈ ફૈઝલ તથા કાંઠારીયાના અને હાલ કેનેડામાં રહેતા સાજીદ કોઠીયા નામના વકીલે રીઝવાન અને તસ્લીમાબાનુ માટે ભરૂચ કોર્ટનું ખોટું છુટાછેડાનું જજમેન્ટ તૈયાર કરી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હોવાની હકીકત બહાર આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પરસ્પર સહકારથી ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિઝા મેળવ્યાનું સાબિત થતા, પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવવામાં આવ્યા હોવાની માહિતી બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને પાઠવી દેવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના ગુનાઓ આચરાયા છે કે કેમ તે દિશામાં વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 6 જાન્યુઆરી, 2026 ના રોજ ધોરણ 8 ના 70 વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં દાળભાત, પૂરી, શાક, પાપડ અને મોહનથાળનો સમાવેશ થતો હતો. ધોરણ 8 ના તમામ બાળકોએ આ તિથિ ભોજનનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. તેમણે દાતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'નું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ભક્તોને એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો લાભ મળી રહે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે મહા સુદ બારસ, તેરસ અને ચૌદસના દિવસે આ પરિક્રમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તોને આગામી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો કર્યા હતા. જેમાં બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી, પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર અને શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં ગુજરાતની ટેકનોલોજી શક્તિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવા માટે FITAG Tech Expo 2026નું આયોજન થવા જઈ રહ્યું છે. ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન્સ ઓફ ગુજરાત (FITAG) દ્વારા યોજાનારો આ ભવ્ય ટેક એક્સ્પો 9 અને 10 જાન્યુઆરી, 2026ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે. એકસ્પોમાં 175થી વધુ ટેક કંપનીઓ ભાગ લેશેઆ એક્સ્પોમાં દેશ-વિદેશની 175થી વધુ ટેક કંપનીઓ ભાગ લેશે, જ્યારે 50,000થી વધુ B2B મુલાકાતીઓ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગપતિઓ અને ટેક પ્રોફેશનલ્સ જોડાશે. એક જ છત નીચે સાઇબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ, સોફ્ટવેર, નેટવર્કિંગ, હાર્ડવેર સહિતની નવીનતમ ટેકનોલોજી અને સોલ્યુશન્સનું પ્રદર્શન કરવામાં આવશે. દેશભરમાંથી 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેવાની શક્યતાઆ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતને ટેકનોલોજી અને ઇનોવેશનનું હબ બનાવવાનો છે. FITAGના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, એક્સ્પો દ્વારા ઉદ્યોગો વચ્ચે નેટવર્કિંગ, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને નવી ટેક આધારિત વ્યાપાર તકો ઊભી થશે. બે દિવસીય આ ટેક મહોત્સવમાં દેશભરમાંથી 10,000થી વધુ પ્રતિનિધિઓની હાજરી રહેવાની શક્યતા છે. FITAG Tech Expo 2026 ગુજરાતના IT ઇકોસિસ્ટમને નવી દિશા આપશે અને ‘વન વિઝન – વન ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની કામલી પ્રાથમિક શાળાના 127 જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને શિયાળાની ઠંડીથી રક્ષણ પૂરું પાડવાનો છે. સ્વેટર વિતરણની સાથે બાળકોને બિસ્કિટ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સોર્યોદય મહેમાનોને તથા શાળાની લાઇબ્રેરી માટે ભેટ આપવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ અને મહેન્દ્ર પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કામલી પ્રાથમિક શાળા દ્વારા રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા આગામી શૈક્ષણિક સત્રમાં શાળાની લાઇબ્રેરી માટે નવા પુસ્તકો તથા સ્ટેશનરીની ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મનીષભાઈ અને મેહુલભાઈએ કાર્યક્રમના સુંદર વ્યવસ્થાપન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રાહી ફાઉન્ડેશનના વરિષ્ઠ કાર્યકર્તા જગદીશ પીલુચિયાનો કાર્યક્રમના સફળ સંકલન બદલ આભાર માનવામાં આવ્યો હતો.
કહેવાય છે કે જેણે સંઘર્ષના કડવા ઘૂંટડા પીધા હોય, તેને જ બીજાના દુઃખની સાચી સમજ હોય છે. સુરતના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આગામી સમૂહ લગ્ન આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડશે. આ ભવ્ય આયોજનના મુખ્ય દાતા રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાદ્રા (દાજી) છે, જેઓ એક સમયે આર્થિક રીતે પાયમાલ થયા બાદ આજે કરોડોના ખર્ચે 67 દીકરીઓનું કન્યાદાન કરવા જઈ રહ્યા છે. આ આખા સમૂહલગ્નનો કરોડોનો ખર્ચ તેઓ એકલા ઉપાડી રહ્યા છે. રણછોડભાઈના સંઘર્ષમય જીવનની સફરરણછોડભાઈ જે માત્ર 11 વર્ષની ઉંમરે ગામડેથી મુંબઈ ગયા અને ત્યાંથી દમણ, નવસારી, પલસાણા, બારડોલી અને કામરેજ જેવા અનેક વિસ્તારોમાં ભટકવું પડ્યું. માત્ર 4 ચોપડી ભણેલા રણછોડભાઈએ પશુપાલન અને 10 વર્ષ સુધી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું.જ્યારે કુદરતે લીધી આકરી કસોટી રણછોડભાઈના જીવનમાં બે એવા આઘાત આવ્યા જે કોઈ પણ માણસને તોડી નાખે. 1985માં આવેલ ઓરીનો રોગમાં તેમની 20 જેટલી દૂધ આપતી ભેંસો મરી ગઈ હતી અને અજાણ્યા વિસ્તારમાં ખાવાના ફાંફા પડ્યા હતા.રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો બહાર બેસી પશુઓના આહાર માટે વેપારીઓની આજીજી કરવી પડતી. તેમજ 2006ની તાપીની આવેલ રેલ એ આ કુદરતી આફતે રણછોડભાઈની 75 ભેંસો છીનવી લીધી. આર્થિક રીતે તેઓ સાવ તૂટી ગયા, ફરી કાચા ઘર બનાવીને જીવન શૂન્યથી શરૂ કરવું પડ્યું. આ આર્થિક ફટકા બાદ તેમણે ફરીથી કાચા મકાનમાં રહીને શૂન્યથી જીવનની શરૂઆત કરી અને જમીન દલાલીના વ્યવસાયમાં સફળતા મેળવી. માતાપિતાની ઈચ્છાથી સમૂહલગ્નનો કરોડોનો ખર્ચ એકલા વહન કરશે રણછોડભાઈના માતા-પિતાની ઈચ્છા હતી કે તેઓ 11 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવે. માતા-પિતાની હયાતીમાં જે શક્ય ન બન્યું, તે હવે રણછોડભાઈ ભવ્ય રીતે સાકાર કરી રહ્યા છે. આગામી 25 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારા આ સમૂહ લગ્નમાં કુલ 67 દીકરીઓના લગ્ન થશે, જેમાં 65 ભરવાડ સમાજની અને 2 આહિર-રબારી સમાજની દીકરીઓનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનો કરોડોનો ખર્ચ રણછોડભાઈ પોતે એકલા હાથે ઉપાડી રહ્યા છે. સૌથી વિશેષ વાત એ છે કે રણછોડભાઈ પોતાની બે સગી દીકરીઓને પણ આ જ સમૂહ લગ્નમાં પરણાવીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડી રહ્યા છે. 51 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજનદક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિના આ 9મા સમૂહ લગ્ન છે. આ પ્રસંગે સુરતના રાંદેરમાં 51 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અંદાજે 50,000 લોકો હાજર રહેવાની શક્યતા છે. દરેક દીકરીને કરિયાવરમાં કબાટ, બેડ અને વાસણો સહિત 75 થી વધુ જીવનજરૂરી વસ્તુઓ ભેટ આપવામાં આવશે. દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી આ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ નવમાં સમૂહ લગ્ન છે. દર વર્ષે અમારે ભોજનના, કરીયાવરના, મંડપના અલગ અલગ દાતાઓની મદદ લેવી પડતી હોય છે. પણ આ વર્ષે રણછોડભાઈ દાજીએ સામેથી પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને અમારી ટીમનો સંપર્ક કરી કીધું કે આ વર્ષના સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ હું કરીશ. જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.
ચાઈના દોરી પર પ્રતિબંધ:સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓને શપથ લેવડાવાયા
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં ચાઈના દોરીના ઉપયોગ પર પ્રતિબંધ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. દરિયાપુર પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચાઈના દોરીનો ઉપયોગ ન કરવા અને પક્ષીઓનું રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને 'સેવ ઉત્તરાયણ' અભિયાન અંતર્ગત પતંગ ઉડાવતી વખતે સાવચેતી રાખવા અને ચાઈના દોરીથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ વાળા સર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણ માટે જાગૃત રહેવા અપીલ કરી હતી.
વલસાડ જિલ્લામાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરિષદનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ લાવવાનો હતો. આ પરિષદ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિપોર્ટ સેન્ટરના ઉપક્રમે યોજાઈ હતી. ઇન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, આ સ્વાસ્થ્ય પરિષદ છેવાડાના માનવી માટે લાભદાયી પુરવાર થશે. સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત સારવાર સહેલાઇથી મળી રહે તેવો નવતર અભિગમ અપનાવાયો છે. પરિષદમાં જિલ્લાની આરોગ્ય વિષયક વિકટ સમસ્યાઓ જેવી કે, માતા મરણ, બાળ મરણ, ટીનએજ પ્રેગનેન્સી અને સિકલસેલ એનિમિયા જેવા વિષયો ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મુદ્દાઓ પર વધુ અસરકારક કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા અને હાજર હિતધારકોના મંતવ્યો મેળવી પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચાઓ થઈ હતી. આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખો, અધિકારીઓ, IIT તથા IIPHG ના પ્રતિનિધિઓ, અધિક્ષકો, ટી.એચ.ઓ., મેડિકલ ઓફિસરો, સરપંચો, આશા વર્કરો, NGO અને અન્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના વિવિધ હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન:એનએસએસ વોલેન્ટિયરોએ ખેડાના ગામડાઓમાં સમુદાય આઉટરીચ કાર્યક્રમ યોજાયો
સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના BCAના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સામાજિક કલ્યાણ માટે કાર્યરત ટ્રેસના ફાઉન્ડેશન એનજીઓ સાથે મળીને ખેડા જિલ્લાના ગામડાઓમાં એક સમુદાય આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સમુદાય જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, વિદ્યાર્થીઓએ માંકવા અને વડાલા ગામોમાં મહિલાઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. તેમણે પ્રાથમિક કન્યા વિદ્યાલયની શાળાની છોકરીઓ સાથે પણ ઇન્ટરેક્ટિવ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા સમય વિતાવ્યો હતો, જેથી તેમને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે માહિતી આપી શકાય. વધુમાં, વિદ્યાર્થીઓએ નવઘરા આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી તેમને શિશુઓ અને નાના બાળકો માટે બાળપણની સંભાળના મહત્વને સમજવામાં મદદ મળી, જે સમુદાયના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓની સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી. તેણે સકારાત્મક સમુદાય પરિવર્તન લાવવામાં શિક્ષણની ભૂમિકાને વધુ મજબૂત બનાવી, જે ભવિષ્યના નાગરિકોને સામાજિક કાર્યો પ્રત્યે પ્રેરિત કરશે.
8 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કામ કરતા કુલ 8 જેટલા ડ્રાઇવર અને કંડક્ટરો સામે પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં એક ડ્રાઇવરે ભાવનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જો કે તેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેની ઉપર આવતીકાલે વધુ સુનાવણી યોજાશે. ST વર્કશોપમાંથી દારૂની 100થી વધુ બોટલો મળી આવી હતીકેસને વિગતે જોતા પોલીસને બાતમી મળી હતી કે ST વર્કશોપમાં લોખંડની પેટીઓમાં શરાબ રાખવામાં આવ્યો છે. પોલીસ ST વર્કશોપ પહોંચતા અને તેમને લોખંડની પેટીઓ મળી આવી હતી. એક બાદ એક તેનું તાળું તોડતા તેમાંથી 100 થી વધુ શરાબની બોટલો મળી આવી હતી. જેની કિંમત 1.44 લાખ જેટલી થવા જતી હતી. જે મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ અંગે સિક્યુરિટી ગાર્ડને પૂછતા તેને જણાવ્યું હતું કે ST વર્કશોપમાં આવતા ડ્રાઇવર અને કંડકટર પોતાનો નફો રાખી તેને શરાબ વેચવા માટે આપતા હતા. એક ડ્રાઈવરે આગોતરા જામીન અરજી કરીએક ડ્રાઈવરે ભાવનગરની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા રજૂઆત કરી હતી કે તેની પાસેથી કોઈ મુદ્દામાલ મળ્યો નથી. નોકરીમાં ખટરાગ ચાલતો હોવાથી તેને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળ્યો છે. તે 9 વર્ષથી ડ્રાઇવર તરીકે કામ કરે છે, તે દીવના રૂટ ઉપર કદી ગયો નથી. તેને પ્રમોશન મળવાનું છે ત્યારે જો તેને જેલમાં જવાનું આવે તો તેની નોકરી જાય તેમ છે. તે બુટલેગર કે કોઈ રીઢો ગુનેગાર નથી. તેની પાસેથી કોઈ રિકવરી મેળવવાની નથી. આ કેસ JMFC ટ્રાયેબલ છે. ભાવનગર કોર્ટે અરજદારની આગોતરા જામીન અરજી ફગાવી હતીસામે સરકારી વકીલે દલિલ કરી હતી કે સિક્યુરિટી ગાર્ડના નિવેદન મુજબ ST બસના ડ્રાઇવર અને કંડક્ટરો તેને શરાબની બોટલ વેચવા માટે આપતા હતા. જેમાં તેઓનો નફો પણ સામેલ હતો. જો આરોપીને જામીન મળે તો તે પુરાવા સાથે ચેડા કરી શકે છે અને આવું કૃત્ય ચાલુ રાખી શકે છે. જેથી ભાવનગરની સેશન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી નાખ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારના આગોતરા જામીન અરજી ઉપર આવતીકાલે સુનવણી યોજાશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત 'સ્ટેમ ક્વિઝ 4.0' અરવલ્લી જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઈ હતી. મ.લા. ગાંધી કોલેજ કેમ્પસ સ્થિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા આ ક્વિઝનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ બે કરોડ રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા છે. આ ક્વિઝમાં અરવલ્લી જિલ્લામાંથી 26 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તાલુકા કોઓર્ડિનેટરો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓએ એકસાથે આ ક્વિઝ આપી હતી. મોડાસા તાલુકામાં જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સ્ટેમ ક્વિઝ 4.0 માટેનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા માટે એડીઆઈ જયેશ પટેલ, મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, મંત્રી ડૉ. આર.સી. મહેતા, સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ. મનોજભા ગોંગીવાલા અને જે.બી. શાહ સ્કૂલના પ્રિન્સિપાલ દીપક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેમ ક્વિઝ 4.0 નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વધારવાનો છે. આ ઓનલાઈન ક્વિઝમાં વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી, અંતરીક્ષ વિજ્ઞાન, પર્યાવરણ, તર્ક શક્તિ અને સામાન્ય વિજ્ઞાન આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બે કરોડ રૂપિયાના ઇનામો સાથેની આ ક્વિઝ સૌથી મોટી સ્પર્ધાઓમાંની એક છે અને તેનો વર્લ્ડ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે. આ પહેલ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ચેતના જગાવવા અને ભારતને જ્ઞાન આધારિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લીના ડાયરેક્ટર અને કોઓર્ડિનેટર ચંદન પટેલે ઓનલાઈન ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
બોટાદ જિલ્લાના સરવઈ ગામમાં વર્ષ 2011ના રાજુ પરમાર અપહરણ અને હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP)ની નિમણૂક કરવામાં આવી છે. બોટાદના આર.સી. પ્રજાપતિને આ કેસમાં SPP તરીકે નિયુક્ત કરાયા છે. આ નિમણૂક મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજ દ્વારા છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન બાદ થઈ છે. રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાએ ઉપવાસીઓને પારણા કરાવી બે દિવસમાં SPPની નિમણૂક કરવાની ખાતરી આપી હતી. SPPની નિમણૂક થતાં મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજે કેબિનેટ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાનો આભાર વ્યક્ત કર્યો છે. સરવઈ ગામના ભોગ બનનાર રાજુભાઈ પરમારના ભાઈ બાબુભાઈ પરમાર અને અનુસૂચિત સમાજના આગેવાન કિર્તીભાઈ ચાવડાએ આ અંગે માહિતી આપી હતી. ઘટનાની વિગત મુજબ, બોટાદ જિલ્લાના સરવઈ ગામે રહેતા રાજુભાઈ પરમાર નામના યુવકની 13 એપ્રિલ, 2011ના રોજ હત્યા કરાયેલી હાલતમાં લાઠીદડ રેલવે સ્ટેશન નજીકથી લાશ મળી હતી. મૃતકના ભાઈ બાબુભાઈ પરમારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં વિજયસિંહ પ્રદ્યુમનસિંહ પરમાર અને વિક્રમભાઈ સોમાભાઈ પરમારના નામ સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. હાલ બંને આરોપીઓ જામીન પર મુક્ત છે. આ કેસમાં યોગ્ય ન્યાય મળે તે માટે મૃતકના ભાઈ બાબુભાઈ પરમારે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવા માંગ કરી હતી. તંત્ર દ્વારા નિમણૂક ન કરાતા, મૃતકના પરિવાર અને અનુસૂચિત સમાજે ગત 22 ડિસેમ્બરથી કલેક્ટર કચેરી સામે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન 5 જાન્યુઆરીએ કેબિનેટ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાએ ઉપવાસીઓની મુલાકાત લીધા બાદ અને SPPની નિમણૂકની ખાતરી આપતા સમેટાયું હતું.
રાજકોટમાં કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરી દંપતીને જાનથી મારી નાખવા ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાલતુ શ્વાન કરડવા બાબતે ફરિયાદ કરવા ગયેલા યુવાનને ઇન્જેક્શન નહીં લગાવવું પડે તેવું સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના સાગરીતોને બોલાવી દંપતીના ઘર પર પત્થર મારો કર્યો હતો. કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા જોસનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.28) નામના સફાઈ કામદાર મહિલાનું પાલતુ શ્વાન એક યુવાનની પાછળ દોડી શરીરે ઉજારડો કર્યો હોય જેથી આ યુવાને ત્યાં પ્લોટના માલીકને બોલાવતા તેઓ બે કારમાં નવ શખ્સો ધસી આવ્યા હતા અને મકાન પર પથ્થરમારો કર્યો હતો તેમજ દંપતીને ધમકી આપી આરોપી ફરાર થઇ ગયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં રામભાઈ સોલંકી, તુફાનભાઈ બાબરીયા, લાલુભાઈ ચંદુભાઈ મહિડા અને તેની સાથેના અજાણ્યા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સાત વર્ષથી કોટ્રાકટમા સફાઈ કામદાર તરીકે કામ કરૂ છું. ગઈ તા.04.01.2026ના રોજ સાંજના હું મારા પતિ તથા બાળકો ઘરમા હતા ત્યારે બાજુમા આવેલ વંડામાં તેમના માણસો પણ ત્યા બહાર બેસતા અને અમારા ઘરેથી પીવા માટે પાણી લઈ જતા તેવીજ રીતે તેમનો એક માણસ અમારા ઘરમા ફરીવાર પાણી લેવા માટે આવ્યો તે વખતે અમારૂ પાલતુ શ્વાન તે છોકરા તરફ દોડતા તે બહાર ભાગી ગયો હતો બાદ હું તથા મારા પતિ અમે ઘરની બહાર નીકળતા આ છોકરો જેનુ નામ મને આવડતુ નથી તે ત્યા ઉભો હતો જેથી મે તેને સમજાવ્યું કે, પુછ્યા વગર કેમ ઘરમા આવે છે આમ કહેતા તેણે કહ્યું કે હું આની પેલા પાણી લેવા માટે આવ્યો તેમ પાણી લેવા માટે આવ્યો હતો. બાદમાં તમારા શ્વાને મને બટકુ ભર્યું છે તેમ જણાવતા મે જોયું તો તેને ફક્ત હાથના ભાગે ઉજરડો પડેલ હતો જેથી અમે કહ્યું કે આમા તારે ઈંજેકશન નહી લેવુ પડે કારણ કે અમે અમારા શ્વાનને ઈન્જેક્શન અપાવેલ છે જેથી આ છોકરો ઉશ્કેરાય જઈ અને તેણે રામભાઈ સોલંકી, તુફાનભાઈ બાબરીયા અને લાલુભાઈ ચંદુભાઈ મૈયડને ફોનથી જાણ કરતા તેઓએ તેમના બીજા માણસોને ફોન કરી અને અમારી સાથે ઝઘડો કરવા બહારથી બોલાવેલ હતા. થોડીવારમા 6 માણસો જે અમારી જ્ઞાતીના રામભાઈ સોલંકી તથા તુફાનભાઈ બાબરીયા તથા લાલુભાઈ ચંદુભાઈ મૈયડાનાઓના કહેવાથી આવ્યા હતા અને બધાયે મોઢે રૂમાલ બાંધેલ હતા જેથી હું ઓળખી શકી નહી અને તેઓ તમામ બે ગાડીમા આવ્યા હતા પોતાના હાથમા ધોક્કા લાવ્યા હતા. બાદમાં અમારા ઘર ઉપર પથ્થરના છુટા ઘા મારતા અમને તે વાગી જતા મુંઢ ઇજા થઇ હતી તેઓએ અમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તે દરમ્યાન દેકારો થતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટીટોદણ મોતીપુરા ગામે ખેત મજૂરી કરતા એક શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે ઝટકા મશીનના વાયરની ચોરીની શંકા રાખી બે શખ્સોએ કરેલા હુમલામાં તેના ભાઈનું મોત થયું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. ખેતર માલિકના ઢોરમારના કારણે મોત થયાનો આક્ષેપમૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાલપુરા ગામના વતની વધાભાઈ ઠાકોર ઉં.વ. 40 છેલ્લા 20 વર્ષથી ટીટોદણ મોતીપુરા ગામે રમેશભાઈ પટેલના ખેતરમાં પશુપાલન અને ભાગિયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરાત્રિ દરમિયાન બાજુના ખેતરમાં રહેતા લાલાભાઈ ઠાકોર મૃતકના ભાઈના પશુની પ્રસૂતિ સમયે મદદ કરવા માટે વધાભાઈ ત્યાં ગયા હતા. તે સમયે પડોશી ખેતરના માલિક અરવિંદભાઈ અને તેમના ભાગિયાએ ત્યાં આવી વધાભાઈ પર ઝટકા મશીનનો વાયર ચોરવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ બંને શખ્સોએ વધાભાઈને ગાળો આપી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ તેમના ભાઈ લાલાભાઈએ કર્યો છે. મારપીટની આ ઘટના બાદ વધાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે ગભરાયેલા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરિવારજનો તાત્કાલિક વધાભાઈને કુકરવાડા સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો આક્ષેપહાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે યોગ્ય ફરિયાદ નોંધવામાં આવી નથી. બનાવની જાણ થતા જ બનાસકાંઠાથી સમાજના અગ્રણીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. પરિવારની સાથે રહી અમે ન્યાય અપાવીશું- પૂર્વ ધારાસભ્યબેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું કે, આજે વડનગર સિવિલમાં ફોરેન્સિક PM કરાવવા માટે થઈને ડેડ બોડી અહીંયા લાવ્યા છીએ.આજે આખો દિવસ થયો છતાંય હજુ સુધી ફરિયાદીની ફરિયાદ લેવામાં નથી આવતી.એના કારણે હજુ અમે અહીંથી ડેડ બોડી ઉઠાવી નથી.અને જો ન્યાય નહીં મળે અને આરોપીઓને પકડી અને જેલના હવાલે કરવામાં નહીં આવે અને ફરિયાદ લેવામાં નહીં આવે તો આવતીકાલે અમારા આખા જિલ્લાનો ઠાકોર સમાજ અહીંયા ભેગો થશે.અને મૃત્યુ પામનાર ને ન્યાય અપાવવા માટે થઈને આખો ઠાકોર સમાજ 2000 થી વધારે લોકો અહીંયા સિવિલ ખાતે ઉમટી પડશે.અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી અમે ડેડ બોડી ઉઠાવવાના નથી. પરિવારની સાથે રહી અમે ન્યાય અપાવીશું અને જેણે પણ આ કૃત્ય કર્યું છે, એને જેલના સળિયા પાછળ ધકેલવા માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. સમગ્ર બાબતે વસાઈ પોલીસ મથકના પી.આઈ ટી. જે દેસાઈ નો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર આજે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક બની ગયું છે. હજારો વર્ષના આક્રમણો, વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્વને ભારતની સાંસ્કૃતિક શક્તિનો પરિચય કરાવે છે. આ ગૌરવસભર ઇતિહાસને નવી ઊંચાઈ આપતું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય રીતે ઉજવાશે. રાજ્ય ના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી એ સોમનાથ ખાતે પત્રકાર પરિષદ યોજી સોમનાથ ખાતે ના ઐતિહાસિક કાર્યક્રમ ની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ અંગે પોતાના લેખમાં જણાવ્યું છે કે “સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની આત્મા અને સ્વાભિમાન છે.” આ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર અને સોમનાથ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ ઐતિહાસિક પર્વનું આયોજન કરાયું છે. અખંડ ઓમકાર નાદથી પર્વનો શુભારંભસ્વાભિમાન પર્વની શરૂઆત તા. 8 જાન્યુઆરીથી 72 કલાકના અખંડ ઓમકાર નાદ સાથે થશે. રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓમાંથી આશરે 2500થી વધુ ઋષિકુમારો, વેદવિદો, યુવાનો અને ભક્તો સોમનાથ ખાતે ઉપસ્થિત રહેશે. જુદી જુદી બેચમાં મંત્રોચ્ચાર, ભજન અને શ્લોકોની ગુંજથી સમગ્ર સોમનાથ પરિસર આધ્યાત્મિક ઊર્જાથી પ્રફુલ્લિત થશે. આ સાથે 1000 યુવાનો દ્વારા શંખનાદ, ભવ્ય મહાઆરતી તથા કલા આરાધના કાર્યક્રમો યોજાશે. તા. 9 જાન્યુઆરીએ પણ અખંડ મંત્રનાદ અને શંખનાદ સાથે આ કાર્યક્રમો સતત ચાલુ રહેશે.‘સોમનાથ ગાથા’ : આકાશમાં ઇતિહાસનું ચિત્રાંકનતા. 10 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વનો સૌથી આકર્ષક કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન મોદીની હાજરીમાં ‘સોમનાથ ગાથા’ વિષયક 3000થી વધુ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો રજૂ થશે. આ શોમાં સોમનાથનો પ્રાચીન ઇતિહાસ, આક્રમણો સામેનો સંઘર્ષ, પુનર્જાગરણ અને રાષ્ટ્રગૌરવ આકાશમાં જીવંત દ્રશ્યરૂપે દેખાશે.આ દિવસે વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં રાત્રિ રોકાણ કરશે. આ તકે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના જીનોદ્ધારનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો. તે સમયે જવાહરલાલ નહેરુએ આ જીનોદ્ધાર માટે સરકાર તરફથી કોઈ સહાય ન આપવાની તથા કોઈને પણ તેમાં જોડાવા ન દેવાની વાત કરી હતી.પરંતુ સરદાર પટેલે પોતાના અડગ નિર્ધાર સાથે જનસમર્થન એકત્ર કરીને—ઝોળી ફેલાવીને, એક પ્રકારે ભિક્ષા માંગીને—સોમનાથ દાદાના જીનોદ્ધારનો સંકલ્પ પૂર્ણ કર્યો અને રાષ્ટ્રના સ્વાભિમાનનું પ્રતિક ફરી ઉભું કર્યું. 108 અશ્વો સાથે શૌર્ય યાત્રાતા. 11 જાન્યુઆરી, રવિવારે સવારે વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવને શીશ નમાવશે. ત્યારબાદ સોમનાથ શંખ સર્કલથી મંદિર સુધી આશરે એક કિલોમીટર લાંબી ભવ્ય શૌર્ય યાત્રા (રોડ શો) યોજાશે.વિશેષ ડ્રેસકોડ સાથે 108 અશ્વો, વિવિધ રાજ્યોના પરંપરાગત નૃત્યો અને સાધુ-સંતોની રવેડી આ યાત્રાને ઐતિહાસિક બનાવશે. યાત્રાની સમાપ્તિ બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભા યોજાશે, જેને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ જઈ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. 1000 વર્ષ અને 75 વર્ષ : ઇતિહાસનો સુમેળમહંમદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા સાથે વર્ષ 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી નિર્મિત નૂતન સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવાનો આ સંયોગ વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે વડાપ્રધાન મોદી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં 125 જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય નિયામક હિમાંશુ જોષીના જણાવ્યા અનુસાર, ડિઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન, ફીટર અને કોપા જેવી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રક મેળવવા માટે નિગમની વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ 12/01/2026 છે અને કચેરીના સમય દરમિયાન 11:00 થી 14:00 કલાક સુધી ફોર્મ મેળવી શકાશે. આ ભરતી માટે વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતમાં કોપા માટે 12 પાસ અને ITI, જ્યારે અન્ય ટ્રેડ માટે 10 પાસ સાથે ITI પાસ હોવું અનિવાર્ય છે. ઉમેદવારોએ apprenticeshipindia.org પોર્ટલ ઉપર 100% પ્રોફાઈલ પૂર્ણ કરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અરજીપત્રકમાં મોબાઈલ નંબર અને આધારકાર્ડ નંબર ફરજીયાત છે. અગાઉ ક્યાંય એપ્રેન્ટીસ તરીકે તાલીમ ન લીધી હોય તેવા ઉમેદવારો જ પાત્ર ગણાશે. ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવશે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોર્પોરેશનમાં કામ કરવાની તક, 'સ્વચ્છ TULIP' ઈન્ટર્નશીપ પ્રોગ્રામ રાજકોટનાં વિદ્યાર્થીઓને મનપામાં કામ કરવા માટેની તક મળશે. મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ગ્રેજ્યુએટ થયેલા છાત્રો માટે 'સ્વચ્છ TULIP' ઈન્ટર્નશીપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત યુવાનોની ભાગીદારી વધારવા માટે ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા પ્રેરિત આ અર્બન લર્નિંગ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ સરકારી વિભાગોમાં ટેકનિકલ અને વહીવટી કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકશે. 1 મહિનાની ઈન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્વચ્છતા કેમ્પેઈન, અવેરનેસ ડ્રાઈવ, બિહેવિયર ચેન્જ, IEC ઈનિશિયેટીવ્સ તેમજ વેસ્ટ મોનિટરિંગ જેવી મહત્ત્વની કામગીરીમાં જોડાવાની તક મળશે. ઈન્ટર્નશીપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ AICTE ના પોર્ટલ પર 15 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે છાત્રો IECCELL.RMC@GMAIL.COM અથવા મોબાઈલ નંબર 9714954242 પર સંપર્ક કરી શકે છે. આજી બાદ ન્યારી-1માં પણ નર્મદાનાં નીર ઠાલવવાનુ શરૂ કરવામાં આવ્યું રાજકોટની જીવાદોરી સમાન આજી-1ની સાથોસાથ હવે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટના આજી ડેમમાં 150 એમસીએફટીથી વધુ નર્મદાનાં નીર ઠલવાઈ ગયા છે. આથી ભર શિયાળે આજીની સપાટી 25.25 ફૂટ પહોંચી ગઈ છે. દરમિયાન રાજકોટના ન્યારી-1માં બે દિવસથી સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે બે દિવસમાં 25 એમસીએફટી જેટલુ નર્મદા નીર ન્યારી ડેમમાં ઠલવાઈ ગયું છે અને આજની સ્થિતિએ ડેમની સપાટી 19.19 ફૂટ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બન્ને ડેમો સિંચાઈ વિભાગ દ્વારા ફરી એક વાર છલકાવી દેવામાં આવનાર છે. નોંધનીય છે કે આજી-1 29 ફૂટે 100 ટકા ભરાય છે ત્યારે ન્યારી-1 25 ફૂટે 100 ટકા ભરાય જાય છે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળાને નાથવા મનપાની ડ્રાઈવ, 18 વોર્ડમાં 358 સ્થળે ક્લોરીન ટેસ્ટ કરાયા રાજકોટની જાહેર જનતાના આરોગ્યની સુખાકારી માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને અટકાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. સલામત પીવાનું પાણી અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ ઓફિસરો અને વોટર મેનેજમેન્ટ યુનિટના સ્ટાફ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પીવાના પાણીની ગુણવત્તા જાળવવા અને ક્લોરીનેશનની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોગચાળો ફેલાતો અટકાવવા માટે શહેરના તમામ વોર્ડમાં પાણી વિતરણના સમયે ઘરે-ઘરે જઈને રેસીડયુઅલ ક્લોરીન ટેસ્ટ (RC Test) કરવાની વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત શહેરના કુલ 18 વોર્ડમાં 37 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન રહેણાંક વિસ્તારોમાંથી પીવાના પાણીના કુલ 358 સેમ્પલ લઈ સ્થળ પર જ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે કરવામાં આવેલા તમામ 358 ટેસ્ટનું પરિણામ પોઝીટીવ આવ્યું હતું, જ્યારે એક પણ સ્થળે નેગેટિવ રિઝલ્ટ નોંધાયું નથી. આમ, મનપા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જળવાઈ રહેતા લોકોના આરોગ્ય પરનું જોખમ ઘટ્યું છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હેગડેવાર વસાહતમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક વળાંક લીધો છે. પતંગની દોરી ખેંચવા બાબતે થયેલા વિવાદમાં ચાર શખસોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચાર શખ્સો નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પતંગની દોરી ખેંચવાની બાબતે યુવક જીવલેણ હુમલોઘટનાની વિગત મુજબ, ફરિયાદી ફિરોજ શેખ તેના મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો, ત્યારે પતંગની દોરી ખેંચવા બાબતે સાહિલ ઉર્ફે શાહુ અને રોહિત બચ્છાવ સાથે વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલી બાદ રાત્રે સાત વાગ્યાના અરસામાં જ્યારે ફરિયાદી તેના પરિવાર સાથે ઘરની બહાર બેઠા હતા, ત્યારે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી હુમલો કર્યો હતો. સીસીટીવીમાં દેખાય છે કે ચાર શખસો અચાનક ધસી આવે છે અને ઝઘડો શરૂ કરે છે. ગોલુ બિહારીનો ચપ્પુ કાઢી યુનુસઅલી પર હુમલોસીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દૃશ્યોમાં જોવા મળે છે કે, ચાર શખસો ફરિયાદી અને તેના બનેવી યુનુસઅલી સૈયદને ઘેરી વળે છે. આરોપીઓ લાત-ઘુસ્તાનો વરસાદ વરસાવી રહ્યા છે અને પીડિત પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન આરોપી ગોલુ બિહારીએ ચપ્પુ કાઢી યુનુસઅલી પર હુમલો કર્યો હતો, જેના કારણે તેને છાતી, જાંઘ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ લોહીયાળ હુમલા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીલોહીલુહાણ હાલતમાં યુનુસઅલીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ઉધના દરવાજા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવીમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટ દેખાતા હોવાથી પોલીસને આ કેસમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હુમલામાં વપરાયેલું હથિયાર જપ્ત કરવાની તજવીજ હાથ ધરીસીસીટીવી ફૂટેજમાં જે રીતે ચાર લોકો મળીને હુમલો કરી રહ્યા છે તે જોતા પોલીસે હુમલામાં વપરાયેલું હથિયાર જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, સીસીટીવી ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે મજબૂત સાબિત થશે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસોના નામ પણ ખૂલ્યા છે, જેઓ હાલ ફરાર છે. પોલીસે આ મામલે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે જેથી ભવિષ્યમાં આવી હિંસક ઘટનાઓ ન બને.
ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યને મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CIRF)માંથી રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના કુલ 41 કામો માટે રૂ.1078.13 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ રકમથી રાજ્યભરમાં 564.57 કિલોમીટર લંબાઈના રસ્તાઓના વાઈડનીંગ, સ્ટ્રેન્ધનીંગ, રીસર્ફેસિંગ તેમજ સ્ટ્રક્ચર સંબંધિત કામો હાથ ધરાશે. નવેમ્બર 2025માં મળેલી બેઠકમાં મદદની ખાતરી આપવામાં આવી હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન તથા ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં નવેમ્બર-2025માં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફળશ્રુતિ રૂપે આ મંજૂરી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રોડ કનેક્ટિવિટી મજબૂત બનાવી ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ને વેગ આપવાના અભિગમને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવામાં આવશે. કયા કામ માટે કેટલી રકમની ફાળવણી?આ યોજનાથી પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ સરળ અને ઝડપી બનશે, જેના પરિણામે ઉદ્યોગ, વેપાર અને સામાન્ય જનતાને મોટો લાભ મળશે. વિગત મુજબ, પાટણ, કચ્છ, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, અમરેલી, જામનગર અને વડોદરા જિલ્લામાં સ્ટેટ હાઇવેના વાઈડનીંગના 11 કામો માટે 229.20 કિમી વિસ્તારમાં રૂ.636 કરોડ મંજૂર થયા છે. ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત અને જામનગર સહિતના જિલ્લાઓમાં 23 કામો હેઠળ 335.37 કિમી રસ્તાઓના મજબૂતીકરણ અને રીસર્ફેસિંગ માટે રૂ.408.33 કરોડ ફાળવાયા છે. આ સિવાય તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં સ્ટ્રક્ચરના 7 કામો માટે રૂ.33.80 કરોડની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યભરમાં શરૂ થનારા આ કામોથી માર્ગ સુરક્ષા, વાહન વ્યવહારની સુવિધા અને વિકાસની ગતિને નવી દિશા મળશે.
રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP)ના અમલને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કોલેજ અને યુનિવર્સિટીઓ માટે એકસરખો અભ્યાસક્રમ અને ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જુદા નિયમોના કારણે વિદ્યાર્થીઓ-સંશોધકો મુશ્કેલીમાંઆ નવી વ્યવસ્થામાં દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમની ગુણવત્તા, ક્રેડિટ માળખું અને PHD ગાઇડની પાત્રતા માટે સમાન માપદંડ નક્કી કરવામાં આવશે. હાલ અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જુદા નિયમો હોવાને કારણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને મુશ્કેલી પડે છે, જે હવે દૂર થવાની શક્યતા છે. કમિટી દ્વારા ચાર વર્ષીય અંડરગ્રેજ્યુએટ કોર્સ, પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમ તેમજ સંશોધન આધારિત અભ્યાસ માટે一 ફ્રેમવર્ક તૈયાર કરાશે. સાથે જ, બહુવિધ પ્રવેશ-બહાર (Multiple Entry-Exit) સિસ્ટમને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ છે કે, 2027-28થી તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ નવી ક્રેડિટ આધારિત અભ્યાસક્રમ વ્યવસ્થા અમલમાં આવે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં લવચીકતા મળે અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય.
કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલા 'વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન એટલે કે 'જી-રામ-જી' બિલ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે નવા બિલની વિશેષતાઓ જણાવી તેને ગ્રામીણ ભારત માટે ગેમ-ચેન્જર ગણાવ્યું હતું. શ્રમિકોને વાર્ષિક 125 દિવસની રોજગારીની ગેરંટીમયંક નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ બિલ અત્યંત મહત્વનું છે. અત્યાર સુધી અમલી મનરેગા યોજનાના સ્થાને હવે આ નવું અને આધુનિક બિલ અમલી બનશે, જેમાં ગ્રામીણ શ્રમિકોને હવે 100 દિવસના બદલે વાર્ષિક 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. આ બિલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર શારીરિક મજૂરી જ નહીં, પરંતુ પશુપાલન, ડેરી ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ અને કૌશલ્ય વર્ધન જેવા આધુનિક ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલાથી ગ્રામીણ યુવાનો અને મહિલાઓ સ્વાવલંબી બનશે અને ગામડાઓની અર્થવ્યવસ્થા મજબૂત થશે. કોંગ્રેસ દ્વારા 'જી-રામ-જી' બિલનો વિરોધવિપક્ષ પર આકરા પ્રહાર કરતા સાંસદ નાયકે જણાવ્યું હતું કે, જે તત્વોએ ભૂતકાળમાં ભગવાન રામનો વિરોધ કર્યો હતો તેઓ જ આજે આ 'જી-રામ-જી' બિલનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ બિલ અંગે ભ્રામક પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ સંગઠન દ્વારા ગામે-ગામ પ્રચાર પ્રસારજિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિઝનથી રજૂ થયેલું. આ બિલ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકો તેનો મહત્તમ લાભ લે તે માટે ભાજપ સંગઠન દ્વારા ગામે-ગામ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ બિલના માધ્યમથી હવે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધવાની સાથે માળખાગત સુવિધાઓમાં પણ મોટો સુધારો જોવા મળશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતું લોખંડના સળિયા ભરેલું એક ટ્રેક્ટર અનિયંત્રિત થઈને કુણ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પુલ પરથી પલટી મારીને નીચે નદીમાં પડ્યું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ટ્રેક્ટરમાં લોખંડના સળિયા ભરેલા હોવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કુણ નદી પરના પુલ પર રેલિંગનો અભાવ છે. સુરક્ષા દિવાલ કે રેલિંગ ન હોવાને કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ગ્રામજનોએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે અને પુલ પર સુરક્ષા રેલિંગ લગાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.
રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. આ કોન્ફરન્સમાં અમરેલીની 'વેદાસ્તિકા' બ્રાન્ડની સફળતાની ગાથા રજૂ કરવામાં આવશે. સરકારી સહાયથી શરૂ થયેલી આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે રૂ. 20 કરોડ સુધી પહોંચ્યું છે. 'લોકલ ટુ ગ્લોબલ' વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણવર્ષ 2020માં ગુજરાત સરકારની સબસિડી સહાય યોજના હેઠળ રૂ. 30 લાખની સબસિડી સાથે શરૂ થયેલું આ મધ્યમ કેટેગરીનું ઉદ્યોગ એકમ 'લોકલ ટુ ગ્લોબલ' વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. કંપનીને સબસિડી ઉપરાંત 7 ટકા વ્યાજ સહાયનો પણ લાભ મળ્યો છે, જે ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણારૂપ છે. 80 થી વધુ પ્રકારની સુગંધિત અગરબત્તીઓ બનાવવામાં આવે છે‘વેદાસ્તિકા’ બ્રાન્ડ હેઠળ 80 થી વધુ પ્રકારની સુગંધિત અગરબત્તીઓ બનાવવામાં આવે છે, જેમાં મશીનવર્ક અને પ્રાકૃતિક હેન્ડમેડ અગરબત્તીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધૂપસ્ટિક્સ અને વિવિધ પ્રકારના હેન્ડમેડ ફેસ્ટિવલ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવવામાં આવે છે. આ ઉત્પાદનો ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, ફિજી અને ગલ્ફ કન્ટ્રીઝ સહિત 10 થી વધુ દેશોમાં વેચાય છે. પંચગવ્યથી બનેલી હેન્ડમેડ અગરબત્તી અને ધૂપસ્ટિક્સની વૈશ્વિક બજારમાં મોટી માંગ છે. 150 જેટલી મહિલાઓને રોજગારી મળીઆ ઔદ્યોગિક એકમમાં આજે 150 જેટલી મહિલાઓને રોજગારી મળી છે, જેનાથી મહિલા સશક્તિકરણની નેમ સાકાર થઈ રહી છે. ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ અને PAT કંપનીના પાર્ટનર-માલિક અલ્પેશભાઈ જાવીયાએ જણાવ્યું કે, તેમણે કોરોનાકાળમાં આ સાહસ શરૂ કર્યું હતું અને ગુજરાત સરકારની સહાયથી તેઓ આગળ વધી શક્યા છે. કંપની આગામી 10 વર્ષમાં રૂ. 10 કરોડથી વધુના નવા રોકાણનું લક્ષ્ય ધરાવે છે અને વધુ 350 મહિલાઓને રોજગારી આપવાનું આયોજન છે. તેઓ સંપૂર્ણ યુનિટને સોલાર એનર્જીથી કાર્યરત કરવા અને કેમિકલ-ફ્રી ફ્રેગરન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જિલ્લામાંથી સિલેક્ટ થયેલા સફળ ઉદ્યોગગાથાઓ પૈકીની એક બ્રાન્ડહેન્ડમેડ સુગંધીત અગરબત્તીની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડનું VGRC સૌરાષ્ટ્ર-કચ્છના મંચ પર પ્રેઝન્ટેશન રજૂ થશે. અલ્પેશભાઈએ જાણકારી આપતા કહ્યું કે, વી.જી.આર.સી અંતર્ગત અમરેલી જિલ્લામાંથી સિલેક્ટ થયેલ સફળ ઉદ્યોગગાથાઓ પૈકીની એક બ્રાન્ડ અમારી પણ છે. PAT કંપનીના મહિલા કર્મચારી કાજલબેને જણાવ્યું અમને અહીં સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાનો અવસર મળ્યો છે. સાથે સારા વેતન સાથે રોજગારી મળી છે. અમે આર્થિક રીતે પગભર બનીને ઉન્નતિ તરફ આગળ ધપી રહ્યા છીએ. પંચગવ્યથી બનેલી પ્રાકૃતિક અગરબત્તીની સુગંધ મનને પ્રફૂલ્લીત કરે છેભારત વિવિધતામાં એકતા ધરાવતો અનોખો દેશ છે. અહીં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો હળીમળીને એકસાથે સૌહાર્દ સાથે રહે છે. દરેક ધર્મ અને તેના વિવિધ તહેવારોમાં પૂજા-અર્ચનાનું અનેરું મહત્વ છે. દરેક ધર્મમાં ધાર્મિક અને આદ્યાત્મિક જીવનશૈલી મહત્વની છે. જીવ અને પ્રકૃતિ બંને અભિન્ન છે. પંચગવ્યથી બનેલ પ્રાકૃતિક અગરબત્તીની સુગંધ માનવીના મનને પ્રફૂલ્લીત કરે છે. ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ હેઠળ વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને રંગોલી, ડ્રાયફ્રૂટ, મુખવાસ, હેન્ડક્રાફ્ટ ચીજ-વસ્તુઓ, હિલિંગ, બ્રાસ, અરોમા અને હોમ ડેકોર જેવા અનેક પ્રકારના ગીફ્ટ હેમ્પર પણ બનાવવામાં આવે છે. PAT કંપનીની ‘વેદાસ્તિકા’ બ્રાન્ડ જેવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઉડાન સાથે ઊંચાઈ પ્રાપ્ત થશે.
પાટણના પોલીસકર્મીનો વીમા ક્લેમ ગ્રાહક કોર્ટે રદ કર્યો:વીમો લેતી વખતે લીવરની બીમારી છુપાવતા નિર્ણય
પાટણના એક પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ તેમના પત્ની દ્વારા કરાયેલો વીમા ક્લેમ ગ્રાહક કોર્ટે નામંજૂર કર્યો છે. વીમા કંપનીએ અગાઉ આ ક્લેમ રદ કર્યો હતો, જેને ગ્રાહક કોર્ટે પણ માન્ય રાખ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે પોલીસકર્મીએ વીમા પોલિસી લેતી વખતે પોતાની લીવરની બીમારી છુપાવી હતી. તેમની નશાની ટેવને કારણે તેમને લીવરની તકલીફ હતી, જેની માહિતી તેમણે વીમા કંપનીને આપી ન હતી. પાટણ શહેરના હાસાપુર નિવાસી પોલીસ કર્મચારી હરેશભાઈ ખોડાભાઈ પરમારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ. ૧૧ લાખની હોમ લોન લીધી હતી. આ લોનની સુરક્ષા માટે, બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી વીમા પોલિસી લીધી હતી અને તેનું પ્રીમિયમ પણ ભર્યું હતું. ત્યારબાદ, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ હરેશભાઈનું હૃદયરોગના કારણે અવસાન થયું. તેમના પત્ની રમીલાબેન પરમારે સ્ટેટ બેંકને જાણ કરતા, બેંકે વીમા કંપનીમાં ક્લેમ નોંધાવ્યો હતો. જોકે, વીમા કંપનીએ આ ક્લેમ નામંજૂર કર્યું હતું. વીમા કંપનીના નિર્ણય સામે રમીલાબેને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં વીમા કંપની વતી વકીલ દર્શકભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન, વીમા કંપનીએ એસબીઆઈ લાઈફની મેમ્બરશીપ કોપી રજૂ કરી, જેમાં હેલ્થ ડિટેલ્સના કોલમમાં હરેશભાઈએ કોઈ બીમારી ન હોવાનું દર્શાવ્યું હતું. જોકે, મૃતકના ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે અરજદારના પતિને અગાઉથી આલ્કોહોલિક લીવરની બીમારી હતી અને તેની સારવાર પણ લીધેલી હતી. આ હકીકતને ધ્યાનમાં રાખીને, સોમવારે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ મૃતકના પત્નીની વીમા ક્લેમની અરજી નામંજૂર કરી. કમિશન સભ્ય વી.એમ. સ્વામીએ પણ આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આજે વધુ 9 નવા કેસ નોંધાતા મનપાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી ગઈ છે. હાલમાં 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 69 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કમિશનરને ચેલેન્જ કરી છે કે, તેઓ જે પાણી શુધ્ધ હોવાનો દાવો કરી રહ્યા છે તો કમિશનર આ જ પાણી પીને સાબિત કરે કે પાણી શુધ્ધ છે. ગાંધીનગરમાં આજે નવા 9 કેસ નોંધાયાગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાને જે રીતે ભયનો માહોલ છવાયો એ જોઈને નગરજનોને કોરોનાકાળ યાદ આવી ગયો છે. ત્યારે હવે સ્માર્ટ સિટીના વિકાસના અણધડ કામોથી નગરજનોને ફરી એક આફતનો સામનો કરવાનો વખત આવ્યો છે. તોય તંત્ર ધ્વારા સબ સલામતના દાવા કરી જે રીતે દોડધામ કરી રહ્યું છે જોતા સ્થિતિ કઈ વિપરીત હોવાનું નકારી શકાય એમ નથી. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાએ સત્તાવાર ટાઈફોડના આંકડા જાહેર કર્યા છે. કમિશનરના દાવા મુજબ આજે વધુ 9 નવા કેસ નોંધાતા મનપાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી છે. હાલમાં 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 69 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જોકે હજી પણ ખાનગી દવાખાનામાં દાખલ દર્દીઓ તેમજ પ્રાઇવેટ લેબમાં થતા વીડાલ ટેસ્ટોની વિગતો સત્તાવાર જાહેર કરવામાં આવતી નથી. 85 ટીમો દ્વારા 8800 ઘરોનો સર્વે કરાયોજ્યારે આરોગ્ય વિભાગની 85 ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં 8,800 થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ક્લોરીન ટેબ્લેટ અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.શહેરમાં 45 જેટલા પાણીના લીકેજ શોધીને તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવ્યું છે. પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે 2,500 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાણી જન્ય રોગચાળો વકરતો અટકાવવા માટે શહેરના તમામ વિસ્તારોમાં ખુલ્લી ખાણી-પીણી, ખાસ કરીને પાણીપુરી, રગડા-પેટીસ, આઈસ્ક્રીમ અને બરફના ગોળાના વેચાણ પર કડક દેખરેખ અને તપાસ શરૂ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા, બહારનો ખોરાક ન ખાવા અને હાથની સ્વચ્છતા રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. કમિશનર પાણી શુદ્ધ હોવાનો દાવો કરે છે તો પીને બતાવે- આપજોકે આમ આદમી પાર્ટીનું કહેવું છેકે રોગચાળાની સ્થિતિ કાબુમાં જ હોય તો આરોગ્યની ટીમોની ફૌજ કેમ ઉતારવામાં આવી છે. આજે આદમી પાર્ટીના એકમાત્ર ચૂંટાયેલા કાઉન્સિલર તુષાર પરીખે અસરગસ્ત વિસ્તારની પાર્ટીના ડોકટર હાર્દિક તલાટી સહિતના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી. તેમણે એક ઘરેથી પાણી બોટલમાં ભરીને કમિશનર જે.એન. વાઘેલાને ચેલેન્જ કરી છેકે, જો કમિશનર પાણી શુધ્ધ હોવાનો દાવો કરે છે તો આ પાણી પીને બતાવે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા. ટ્રેનોની સંખ્યા 256થી વધારીને 450 કરવાનું આયોજનજીએમ વિવેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેલવે વિભાગ મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આગામી પાંચ વર્ષમાં પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોની સંખ્યા વર્તમાન 256થી વધારીને 450 કરવાનું આયોજન છે. આ ઉપરાંત, અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પ્લેટફોર્મ નવીનીકરણની કામગીરી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે, જેનાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે. બ્રોડગેજ લાઇન પર નવી ટ્રેનો શરૂ કરાશેરેલવેને લેવલ ક્રોસિંગ મુક્ત બનાવવાના લક્ષ્યાંક સાથે હવે ફાટકોની જગ્યાએ ROB અને RUB બનાવવાની કામગીરીને પ્રાથમિકતા અપાશે, જેનો તમામ ખર્ચ રેલવે પોતે ઉઠાવશે. વધુમાં, અધિરાજ મોટીથી વિજાપુર અને આંબલીયાસણ ટ્રેકનું CRS ઇન્સ્પેક્શન પૂર્ણ થતાં આ બ્રોડગેજ લાઇન પર ટૂંક સમયમાં નવી ટ્રેનો શરૂ કરાશે. મુસાફરોને મોલ-રેસ્ટોરન્ટ જેવી હાઈ-ક્લાસ સુવિધા મળશેરાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા બ્રિજ અને રોડના કામોને મંજૂરી મળી ગઈ છે. ટીબી રોડ પર બે નવા RUB બનાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. ભવિષ્યમાં મહેસાણા રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવી ત્યાં મુસાફરો માટે મોલ અને રેસ્ટોરન્ટ જેવી હાઈ-ક્લાસ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અંબાજી-આબુરોડ રેલવે લાઇનનું કામ પણ હાલ પ્રગતિમાં છે. જનપ્રતિનિધિઓએ આંબલીયાસણ જેવા વિસ્તારોમાં પાણીના નિકાલ જેવી સ્થાનિક સમસ્યાઓનો રેલવે તંત્ર સાથે સંકલન સાધીને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. રેલવે તંત્ર અને જનપ્રતિનિધિઓના આ સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ઉત્તર ગુજરાતના રેલવે માળખામાં મોટા પરિવર્તનો જોવા મળશે.
દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં ચકચારી બનેલા ચેક રિટર્ન કેસમાં આજે મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના થાળા ગામના પૂર્વ સરપંચ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા રાજેશ ડામોરને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5,00,000નો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડાના વેપારી ચેતનકુમાર ચંદ્રકાન્ત શાહ (મે. જોરાવરમલ સુરજમલ એન્ડ સન્સ) પાસેથી આરોપી રાજેશ ડામોરે વર્ષ 2018માં સ્ટીલ, સિમેન્ટ અને મશીનરી સહિતનો રૂ.6.08 લાખનો સામાન ખરીદ્યો હતો. જે પૈકી બાકી નીકળતી રકમ પેટે આરોપીએ રૂ.5 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા 'ફંડ ઇન્સફિસિયન્ટ'ના શેરા સાથે પરત ફર્યો હતો. વેપારીએ વકીલ પી.પી. જૈન મારફતે નોટિસ મોકલવા છતાં નાણાં ન મળતા વર્ષ 2021માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ આશરે 4 વર્ષ સુધી ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીઓને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ચુકાદાના દિવસે આરોપી ગેરહાજર હોવા છતાં અદાલતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 392(7) હેઠળ સત્તાનો ઉપયોગ કરી આરોપીની ગેરહાજરીમાં જ સજા સંભળાવી હતી. જેમાં આરોપીને 1 વર્ષની સાદી કેદ અને ચેકની પૂરેપૂરી રકમ રૂ. 5,00,000નો દંડની સજા ફાટકારી હતી. જો આરોપી દંડ ન ભરે તો વધુ 3 માસની જેલની સજા ભોગવવી પડશે.સજા પામનાર રાજેશ ડામોર લીમડી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સક્રિય નેતા હોવાથી આ ચુકાદાની અસર રાજકીય વર્તુળોમાં પણ જોવા મળી રહી છે. પૂર્વ સરપંચ જેવા જવાબદાર હોદ્દા પર રહીને વેપારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ કોર્ટે કરેલી આ કડક કાર્યવાહીથી કાયદાનું શાસન પ્રસ્થાપિત થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સજા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પાટણના હરિ સેવા પરિવાર દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા મહાકાલેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાઈ હતી.પાટણના કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યએ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું. તેમણે ભાવિકોને શિવભક્તિમાં લીન કર્યા હતા. આ કથાના મનોરથી તરીકે સ્વ. મનજીભાઈ મનોરદાસ પટેલ સાગોડિયા પરિવારે લાભ લીધો હતો. તેમના ઉપક્રમે પાટણના એકસો ભક્તોએ ઉજ્જૈન મહાકાલની યાત્રા કરી અને કથામૃતનું શ્રવણ કર્યું.મનોરથી પરિવારના સભ્ય અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, હરિ સેવા પરિવારના આયોજકો દ્વારા આ પ્રસંગ માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાતની શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થવાના અણસાર આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા દોઢ દાયકાથી પેન્ડિંગ રહેલો કાયમી ભરતીનો પ્રશ્ન હવે ઉકેલાય તેવી શક્યતા છે. રાજકીય પક્ષો અને ધારાસભ્યો સહિતની સતત રજૂઆતો અને નોકરીવાંચ્છિત ઉમેદવારોના લાંબા આંદોલન બાદ આ સફળતા મળી શકે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને કમિશનર શાળાઓની કચેરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે પત્ર પાઠવ્યો છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, હું વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆતને ગંભીરતાથી લઈ ભાવિ શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા બદલ હું સરકારનો આભારી છું. 15 વર્ષથી ચાલી રહેલી લડતનો આજે અંત આવ્યો છે, તે બદલ હું હજારો ઉમેદવારો વતી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનો આભાર માનું છું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પણ દોડી ગયેલારાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચિત્ર, સંગીત અને વ્યાયામના શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે લડત ચલાવી રહ્યા હતા. આ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનેકવાર આંદોલનો અને ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. આ લડતમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શરૂઆતથી જ ઉમેદવારોને પોતાનું સમર્થન આપ્યું હતું. ધારાસભ્યની લેખિત અને મૌખિક રજૂઆતોઆ મુદ્દે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને રૂબરૂ મળીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. તેઓ ભાવિ શિક્ષકોના પ્રમુખો અને પ્રતિનિધિ મંડળ સાથે સતત સરકારના સંપર્કમાં રહ્યા હતા. વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી તેમની રજૂઆતને સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. કમિશનર શાળાઓની કચેરીની સત્તાવાર જાણમુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા ધારાસભ્ય ઉમેશ મકવાણાને સત્તાવાર પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે કે, હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ત્રણેય વિષયોના શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના હજારો લાયક ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે કલા તથા શારીરિક શિક્ષણને નવું બળ મળશે તેવી આશા સેવાઈ રહી છે.
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. ભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSI અને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. 9 જાન્યુઆરીથી કોલ લેટર ઉપલબ્ધ થશેભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, શારીરિક કસોટી માટેના કોલ લેટર 9 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લાખો ઉમેદવારો લેશે ભાગPSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ભરતી બોર્ડની અપીલગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં. PSI-LRD ભરતીની શારીરિક કસોટી સાથે ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયાએ હવે ગતિ પકડી છે, જે રાજ્યના યુવાનો માટે નવી આશા લઈને આવી છે.
ગાંધીનગર અને ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોવાને પગલે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. આજે ફતેપુરા અને વારસિયા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએથી સડેલા તેમજ બગડેલા બટેટાનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની પાણીપુરી વિક્રેતાઓ સામે કાર્યવાહીશહેરમાં આરોગ્ય સાથે ચેડા કરનાર સામે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યશાખાની ટીમોએ વારસિયા અને ફતેપુરા વિસ્તારમાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસમાં ખાસ કરીને પાણીપુરી તૈયાર કરતા અને વેચતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આખાય અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયોચેકિંગ દરમિયાન અનેક વિક્રેતાઓ પાસેથી સડેલા, વાસી અને બગડેલા બટાકાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ ગ્રાહકોને પીરસવા માટે કરવામાં આવતો હતો. આ પ્રકારની બેદરકારી નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે, તેથી આરોગ્ય અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરીને આખાય અખાદ્ય જથ્થાનો નાશ કરી દીધો હતો. સાથે વિક્રેતાઓને સ્વચ્છ અને તાજા આહારનો જ ઉપયોગ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે ચેતવણી પણ આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગતથી મોટા પાયે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના સ્ફોટક આક્ષેપો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યા છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જૂનાગઢના ચોરવાડ અને કુકસવાડા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ધારાસભ્ય દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર કક્ષાએ પુરાવા અને લોકેશન મોકલવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને લઈ અધિકારીઓની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના કુકસવાડા અને ચોરવાડ ગામની સીમમાં ખનીજ માફિયાઓ કોઈ પણ ડર વગર બેફામ રીતે ખનીજની લૂંટ ચલાવી રહ્યા છે. ખાસ કરીને કુકસવાડા ગામના સર્વે નંબર 83 અને ચોરવાડ ગામના સર્વે નંબર 571/2, 550/1, 608/4/2 અને 562 પર દિવસ-રાત ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ જગ્યાઓ પર ખનીજ ચોરો દ્વારા અધિકારીઓની મિલીભગતથી ખનીજ ચોરી આચરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા છે. ધારાસભ્યએ ઉમેર્યું કે તેમણે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી કિરણ પરમાર અને ગુજરાતના કમિશનર ધવલ પટેલને ટેલિફોનિક તેમજ વોટ્સએપ દ્વારા ખનીજ ચોરી થતી જગ્યાઓના લાઈવ લોકેશન મોકલ્યા હતા. વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ વધુમાં ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે અગાઉ જ્યારે મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા તે સમયે જ અધિકારીઓ દ્વારા બેફામ ખનીજ ચોરીની છૂટ આપવામાં આવી હતી. હવે જ્યારે આગામી 10 જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ખનીજ માફિયાઓને મોકળું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે જ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભૂ-માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે ખનીજ ચોરીના ગ્રાફમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આ સમગ્ર મામલે લેખિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરશે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે. ખનીજ વિભાગની બેવડી નીતિ પર પ્રહાર કરતા વિમલ ચુડાસમાએ જણાવ્યું કે જે જગ્યા પર મોટા પાયે ખનીજ ચોરી થાય છે ત્યાં કોઈ અધિકારી ફરકવાની હિંમત કરતું નથી. ખાણ ખનીજ વિભાગ માત્ર નાના વાહનચાલકો કે મજૂરોને દંડ કરીને સંતોષ માને છે, જ્યારે મોટા ‘મગરમચ્છો’ ને છૂટો દોર આપવામાં આવે છે. જો કોઈ ગરીબ ખેડૂત પોતાના ખેતર માટે એકાદ ટ્રેક્ટર માટી ભરીને જતો હોય તો તેના પર કાયદાનો કોરડો વીંઝવામાં આવે છે, પરંતુ હપ્તાખોરીમાં ડૂબેલા અધિકારીઓ ખનીજ માફિયાઓને 24 કલાક ચોરી કરવાની જાહેરમાં છૂટ આપી રહ્યા છે. તેમણે ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા મજૂરો અને ટ્રેક્ટર ધારકોને પણ અપીલ કરી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓનો ભાગ ન બને. ધારાસભ્યની માંગ છે કે જે જે સર્વે નંબર પર ખનીજ ચોરી થઈ રહી છે તેની સરકારી નીયમો અનુસાર માપણી કરવામાં આવે, ભૂ-માફિયાઓને મસમોટો દંડ ફટકારવામાં આવે અને જે માલ ચોરી થયો છે તે ક્યાં વેચાયો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી એફઆઈઆર નોંધવામાં આવે. તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે સરકારની ગ્રાન્ટ અને ખનીજ સંપત્તિનું ખુલ્લેઆમ ધોવાણ થઈ રહ્યું હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી કિરણ પરમારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે ધારાસભ્યના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું હતું કે વિમલભાઈ ચુડાસમા જ્યારે પણ કોઈ લોકેશન શેર કરે છે ત્યારે અમારી ટીમ ત્યાં જઈને કાયદેસરની તપાસ કરે છે. ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા તમામ પત્રોના વિગતવાર જવાબો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. અધિકારીએ વધુમાં બચાવ કરતા જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગમાં હાલ સ્ટાફની ભારે અછત છે, જેના કારણે ક્યારેક કાર્યવાહી કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તમામ કામગીરી કાયદાકીય રીતે જ કરવામાં આવી રહી છે અને ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલુ છે...
સુરેન્દ્રનગરમાં એક નાગરિકનો રૂ. 35,000નો Apple મોબાઈલ ફોન રસ્તામાં ખોવાઈ ગયો હતો. નેત્રમ શાખાના CCTV કેમેરાની મદદથી આ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. આ ઘટના 3 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. સુરેન્દ્રનગરના પટેલ હોમ્સમાં રહેતા રાહુલ શાંતિલાલ માટેલ પુનમ ભરવા જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલા એચ.પી. પેટ્રોલ પંપ, રતનપર પાસે તેમનો ફોન પડી ગયો હતો. ફોન ખોવાયાની જાણ થતાં, નેત્રમ શાખાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે પોતાના CCTV કેમેરા અને પેટ્રોલ પંપના ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, એક ફોરવ્હીલર ચાલકે ફોન લીધો હોવાનું સામે આવ્યું હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-01-HS-9792 હતો. વાહન માલિકનો સંપર્ક સાધીને રાહુલભાઈ શાંતિલાલને તેમનો રૂ. 35,000નો Apple મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા PSI ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રૂ. 1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 36,800 બોટલોનો આ જથ્થો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિરપુર ગામની સીમમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો હતો. આ દારૂ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન પાસ-પરમિટ વિના પકડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 103 ગુના નોંધી આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હિંમતનગર ડિવિઝનના DYSP એ.કે. પટેલે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા દારૂની ગણતરી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તેને વિરપુરની સીમમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, હિંમતનગર મામલતદાર રોનકસિંહ પઢેરિયા, નશાબંધી અધિકારી એચ.વી. પટેલ, એ-ડિવિઝન PI પી.એમ. ચૌધરી, બી-ડિવિઝન PI એ.એમ. ચૌધરી, હિંમતનગર ગ્રામ્ય PI એચ.આર. હેરભા અને ગાંભોઈ PI એ.જે. ગોસ્વામી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા.
મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર પાછળ બીજા ટ્રેલરે ટક્કર મારી હતી. આ ઘટનામાં પાછળના ટ્રેલરના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો અને તેના ડ્રાઇવરને ઇજા થઈ હતી. અકસ્માત બપોરના સમયે બન્યો હતો. આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે નિયંત્રણ ગુમાવતા ટક્કર થઈ હતી. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે મોરબી-હળવદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી છે, અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પંથકમાં ભારે વાહનોના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે, જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
દસ વર્ષમાં સાંસદોની સંપત્તિમાં થયો ધરખમ વધારો સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને 147 કરોડ પર પહોંચી,2014થી 2024 દરમિયાન રિપીટ થયેલા ગુજરાતના 6 સાંસદોની સંપત્તિમાં વધારો થયો છે. જો કે પાટિલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત પોલીસમાં વર્ગ -3ની 950 જગ્યા પર ભરતી ગુજરાત પોલીસમાં ફરી ભરતી આવી. ટેક્નિકલ સેવાઓ હેઠળની 950 જગ્યાઓ માટે ભરતી કરાશે. ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ HCને સોંપાયો રાજકુમાર જાટ હત્યાકેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ હાઈકોર્ટને સોંપવામાં આવ્યો.11 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરાયો હતો, જેમાં ગણેશ ગોંડલને 31 સવાલો પૂછાયા હતા. ગણેશે રાજકુમાર જાટને માર માર્યાનો કે તેની હત્યાના કાવતરાનો ઈનકાર કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોરબી ભાજપ પ્રમુખ પર 350 કરોડ રુ.નું દેવુ મોરબી ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા પર 350 કરોડનું દેવુ હોવાથી તેઓ વિદેશ ભાગી જવાના હોવાનો આક્ષેપ. જેનો ખુલાસો આપતા તેમણે કહ્યું કે તેઓ ક્યાંય ભાગી જવાના નથી.. 70 ટકા દેવું તેમણે ચૂકવી દીધું છે. અને બાકીના 125 કરોડ એક- બે વર્ષમા ચૂકવી દેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોલમાંથી ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક મોલમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જે લંડનથી મેનેજ થતી હતી. કેમિસ્ટ્રીના માસ્ટર્સ યુવાનો બ્લુ ક્રિસ્ટલ નામનું ઘાતક ડ્રગ્સ તૈયાર કરી હાઈપ્રોફાઈલ પાર્ટીઝમાં પહોંચાડતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિરાટ કોહલી વડોદરા એરપોર્ટ પહોંચ્યા 11મી જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાનાર ઈન્ડિયા ન્યુઝિલેન્ડ વન ડે મેચ માટે વિરાટ કોહલી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા. કોહલીની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમી યુગલ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું સુરતના ઉમરપાડાના જંગલમાં યુગલે ફાંસો ખાધો. એક જ દુપટ્ટાથી બંને ઝાડ પર લટકી ગયા હતા. પ્રેમ પ્રકરણમાં બંનેએ આ પગલું ભર્યાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉત્તરાયણને લઈને વિદ્યાર્થીઓનો સંકલ્પ ઉત્તરાયણને લઈ અમદાવાદના 5 લાખ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ સવારે 9 પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવે... સાથે જ ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનો પણ સંકલ્પ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ બાદ સુરતમાં પાણીપૂરી વિક્રેતા પર દરોડા અમદાવાદ બાદ સુરતમાં પણ પાણીપૂરી વિક્રેતાઓ પર દરોડ પાડવામાં આવ્યા. 10 ઘરોમાંથી સડેલા બટાકા ચણાનો મસોલો અને, અનેક વાર તળેલા તેલમાંથી જ તળાયેલી પૂરીનો જથ્થો જપ્ત કરાયો છે. સાથે જ પાણીપૂરી વિક્રેતાઓને સ્થળ પર જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હજુ પડી શકે છે હાડ થીજવતી ઠંડી પાછલા 24 કલાકમાં નલિયા અને અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ગાંધીનગરમાં 12 અને અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું.આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે, લુણાવાડા આઈ.ટી.આઈ. ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એઆરટીઓ લુણાવાડા અને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે, સંસ્થાના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગેની ફિલ્મ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી હતી. તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો નિવારવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ માર્ગ સલામતીના પાયાના નિયમો સમજાવી શિસ્તબદ્ધ ડ્રાઈવિંગનો આગ્રહ રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમ અંતર્ગત, 'રાહવીર' અને 'હિટ એન્ડ રન' જેવી સરકારી સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આ યોજનાઓ સંબંધિત પેમ્પ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને, પતંગના દોરાથી થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે વિશેષ પગલાં લેવાયા હતા. ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ પણ લગાડવામાં આવ્યા હતા. વાહન ચાલકોની સુરક્ષા માટે લેવાયેલા આ પગલાંનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન જાનહાનિ ટાળવાનો અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના સોનલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા મહેશ ઉર્ફે રાજા બિહારી નામના યુવક પર 7થી 8 શખસોએ પાઇપ અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં રાજા બિહારીને ઉધના દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજા બિહારી પોતે રીઢો ગુનેગાર છે અને તેની સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા આશરે 22 ગંભીર ગુના નોંધાયેલા છે. રૂપિયા 50 હજારની લેતીદેતીમાં 'પોલાદ તિવારી' ગેંગ દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. રાજા બિહારીને હુમલાખોરોએ રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યોઆ લોહિયાળ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, 7થી 8 હુમલાખોરો હાથમાં 4થી 5 ફૂટ લાંબા લાકડાના દંડા અને લોખંડની પાઈપ લઈને રાજા બિહારીને રસ્તા પર દોડાવી દોડાવીને માર મારે છે. હુમલાખોરોએ જાણે મોતનો તાંડવ ખેલ્યો હોય તેમ સોસાયટીના ગેટ પાસે તેને આંતરી લીધો હતો. આ દૃશ્યો જોઇને આસપાસના રહીશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. હુમલાખોરો હથિયારો સાથે બે કારમાં ધસી આવ્યા હતા. 50 હાજર રૂપિયાની લેતીદેતી જીવલેણ હુમલોઘટનાની પાછળ 50 હાજર રૂપિયાની લેતીદેતી જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજા બિહારીના ભાઈ હિતેશ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાજા બિહારીએ આરોપી રાઘવ ઉર્ફે પોલાદ તિવારીની 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. આ નાણા પરત માગતા બંને વચ્ચે ટેલિફોનિક બોલાચાલી થઈ હતી અને ગાળાગાળી સુધી વાત પહોંચી હતી. આ વાતનો ખાર રાખી રાઘવ ઉર્ફે પોલાદ તિવારીએ તેના સાગરીતો શિવમ દુબે, પ્રખર ઉર્ફે બોક્સર અને પંકજ યાદવ સહિતની ટોળકીને બોલાવી રાજા બિહારી પર હુમલો કરવાનું કાવતરૂં ઘડ્યું હતું. ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા રાજા બિહારી ઢળી પડ્યોરાજા બિહારી તેના ભાઈ અને મિત્રો સાથે દત્ત કુટીર નજીક ઊભો હતો ત્યારે બે કારમાં આવેલા શખસો ચપ્પુ અને લોખંડના રોડ સાથે તૂટી પડ્યા હતા. રાજાને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંક્યા અને માથામાં લોખંડનો રોડ મારવામાં આવતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. વધારે પડતું લોહી વહી જવાને કારણે તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હુમલાખોરો રાજાને જીવતો છોડવાના મૂડમાં ન હોય તેમ સીસીટીવીમાં પાઈપો ઝીંકતા નજરે પડ્યા હતા. પરિવારની આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગઉધના પોલીસે આ મામલે હિતેશ ગુપ્તાની ફરિયાદના આધારે રાઘવ ઉર્ફે પોલાદ અને તેની ટોળકી સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રાજા બિહારીના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે એકઠા થઈને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. એક તરફ 22 ગુનાનો આરોપી ભોગ બન્યો છે અને બીજી તરફ હુમલો કરનાર પણ ગુનાહિત માનસ ધરાવે છે, ત્યારે ઉધના વિસ્તારમાં આ ઘટનાને પગલે ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટ અને મોરબી પંથકમાં ચકચારી બનેલા સાહિલ માજોઠીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. યુક્રેનની જેલમાં કેદ બનેલા મોરબીના યુવક સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે તેના પરિવાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે સાહિલના માતા હસીનાબેન માજોઠીએ આજે રાજકોટ ખાતે આવી સાંસદ પરસોતમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી અને પોતાના પુત્રને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી ભાવુક રજૂઆત કરી હતી. જવાબમાં સાંસદ રૂપાલાએ પણ વિદેશ મંત્રી એસ. જયશંકરને મળી આ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. સાહિલની માતા હસીનાબેને દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સાંસદ પરસોતમ રૂપાલાને મળીને રજૂઆત કરી છે કે મારો પુત્ર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. યુક્રેન સરકાર સાહિલ માજોઠીને ભારત પરત મોકલવા માટે સહમત છે અને તેઓ તેને મુક્ત કરવા તૈયાર છે. આ પ્રક્રિયા માટે ભારત સરકાર તરફથી જરૂરી કાર્યવાહી અને સત્તાવાર મંજૂરીઓની જરૂર છે. વધુમાં હસીનાબેને જણાવ્યું હતું કે, સાંસદ પરસોતમ રૂપાલાએ મારી આપવીતી સાંભળી મને સાંત્વના પાઠવી હતી. તેમજ ખાતરી આપી હતી કે તેઓ જાતે આ ગંભીર મુદ્દે રૂબરૂમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા કરશે અને સાહિલને વહેલી તકે ભારત પરત લાવવા રાજદ્વારી સ્તરે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. તમારા પુત્રનું પરિવાર સાથે મિલન કરાવા અને તેને ભારત પરત લાવવા માટે સરકાર દ્વારા જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે. અને વહેલામાં વહેલી તકે સાહિલને પરત લાવવામાં આવશે. પુત્રને રશિયામાં ડ્રગ્સ કેસમાં ફસાવ્યાનો માતાનો આક્ષેપ હસીનાબેન માજોઠીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાહિલ અભ્યાસ અર્થે વિદેશ ગયો હતો, પરંતુ રશિયામાં તેને ડ્રગ્સના એક ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાંથી બચવા અને જેલમાંથી બહાર આવવા માટે તેને રશિયન સેના તરફથી યુદ્ધમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી. આ યુદ્ધ દરમિયાન સાહિલ યુક્રેની સેનાના હાથમાં આવી ગયો હતો અને ત્યારથી તે ત્યાં કેદમાં છે. હસીનાબેને આક્ષેપ કર્યો છે કે સાહિલને કોઈ કાવતરાના ભાગરૂપે આ રીતે મુશ્કેલીમાં ધકેલી દેવામાં આવ્યો છે. વકીલના માધ્યમથી વિડીયો કોલ પર થઈ વાત હસીનાબેને જણાવ્યું હતું કે મોરબીના એડવોકેટ ચિરાગ કારીયાએ પાવર ઓફ એટર્ની બનાવી છે. જે લઈ દિલ્હી હાઇકોર્ટનાં અમારા એડવોકેટ દીપબેન જોશી યુક્રેન ખાતે મારા પુત્રને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન વકીલે હસીનાબેન અને તેમના પરિવારની વિડીયો કોલ દ્વારા સાહિલ સાથે વાત કરાવી હતી. લાંબા સમય બાદ પુત્રનો ચહેરો જોઈ હું ભાવુક થઈ ગઇ હતી. સાહિલે વિડીયો કોલમાં પોતાની સ્થિતિ સારી હોવાનું જણાવી તાત્કાલિક વતન પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાહિલ માજોઠીનો કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો ભારત સરકાર તેમજ વિદેશ મંત્રાલય યુક્રેન સરકાર સાથે સંકલન સાધે તો આગામી દિવસોમાં મોરબીનો આ યુવાન જેલમુક્ત થઈને પોતાના પરિવાર પાસે પરત ફરી શકે તેમ છે. હાલ તો પરસોતમ રૂપાલાની ખાતરી બાદ પરિવારમાં આશાનું કિરણ જાગ્યું છે. સાથે હસીનાબેને પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રીને નમ્ર વિનંતી કરી છે કે ભારત સરકાર આ મામલે સક્રિય બને અને એક નિર્દોષ યુવકનું ભવિષ્ય બચાવવા માટે તેને સત્વરે માતૃભૂમિ પર પરત લાવવામાં મદદ કરે.
આજના અત્યાધુનિક ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓથી સજ્જ યુગમાં માનવી સાધનો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આ દોડમાં તે આંતરિક શાંતિ અને કૌટુંબિક મૂલ્યો ગુમાવી રહ્યો છે. સમાજમાં વધતો જતો તણાવ, તૂટતા પરિવારો અને મૂલ્યોના હ્રાસ વચ્ચે માનવ જીવનને સાચી દિશા આપવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી મહેસાણામાં રાધનપુર ચોકડી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 5 દિવસીય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવ આગામી 8 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. દરરોજ રાત્રે 8:30 થી 11:00 કલાક સુધી ચાલનારા આ કાર્યક્રમમાં જ્ઞાન, ભક્તિ અને જીવન ઉત્કર્ષનો સંગમ જોવા મળશે. મહોત્સવના મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રેરક વક્તા અને વિદ્વાન સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી ઉપસ્થિત રહેશે. તેઓ પોતાની પ્રભાવશાળી શૈલીમાં સંસ્કારયુક્ત પેરેન્ટિંગ માટે નવી પેઢીનું ઘડતર કેવી રીતે કરવું? માનવીય સંબંધો માટે કૌટુંબિક તિરાડો સાંધીને પ્રેમના તાંતણે કેવી રીતે બંધાવું? સંકલ્પશક્તિ અને શ્રદ્ધા, જીવનના પડકારો સામે મજબૂત મનોબળ અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમ વિષય પર સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં નાગરિકોનું યોગદાન જેવા પાયાના વિષયો પર માર્ગદર્શન આપશે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં હત્યા, આત્મહત્યા અને ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ માનસિક અસંતુલનનો સંકેત આપે છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય માનવીને તેની આંતરિક શક્તિનું ભાન કરાવી સકારાત્મક વિચારધારા તરફ વાળવાનો છે. આ કાર્યક્રમ તમામ વયના લોકો, વ્યવસાયીઓ અને સમાજના દરેક વર્ગ માટે જીવન પરિવર્તન કરનારો સાબિત થશે. BAPS સ્વામિનારાયણ મંદિર, મહેસાણા દ્વારા આ ધર્મલાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. આ હરાજીમાં ટુ-વ્હીલર માટે GJ-35-BB સીરીઝના તમામ નંબર અને ફોર-વ્હીલર માટે GJ-35-N તથા GJ-35-AA જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર ઉપલબ્ધ રહેશે. દિવ્યાંગજન માલિકીના વાહનો (એડેપ્ટેડ હોય કે ન હોય) પણ સંબંધિત ક્લાસમાં હરાજીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 14 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થશે અને 18 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 03:59 કલાક સુધી ચાલશે. ઈ-ઓક્શન 18 જાન્યુઆરી, 2025 થી શરૂ થઈને 20 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 04:00 કલાક સુધી ચાલશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે. વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421, તા. 12/10/2017 ના Appendix-A માં આપેલી સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઈટ પરથી CNA ફોર્મ ભરી લેવું ફરજિયાત છે. આ અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. જો 60 દિવસમાં અરજદાર કોઈ નંબર મેળવી શકશે નહીં અથવા ઉપલબ્ધ નંબરોમાંથી પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં, તો અરજી તારીખથી ગણતા 60 દિવસના છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી વાહન અનરજીસ્ટર્ડ ગણાશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. જો અરજદાર નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે, તો મૂળ ભરેલી રકમ (Base Price) જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારોને રિફંડ SBI e-pay દ્વારા તેમના ખાતામાં પરત કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આણંદમાં નવા બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ વચ્ચે નવી લોકલ બસ સેવા શરૂ કરાઈ છે. આ રૂટનું ઉદ્ઘાટન આણંદના ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું. ગતરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ તેમને બોરસદ અને ડાકોર માટે વધારાની બસ ટ્રીપ શરૂ કરવાની રજૂઆત કરી હતી, જેથી તેમને અવરજવરમાં સરળતા રહે. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને નાયબ મુખ્યમંત્રીએ તાત્કાલિક આણંદ બસ સ્ટેશન પરથી જ ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બોરસદ અને ડાકોર માટે બસ સેવાઓ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં, આજે આણંદ તથા બોરસદ એસ.ટી. ડેપો દ્વારા નવીન આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિભાગીય નિયામક સી. ડી. મહાજન, ડી. ટી. ઓ. નાયી, આણંદ ડેપો મેનેજર કે. એમ. શ્રીમાળી, આણંદ એસ.ટી. ડેપોનો સ્ટાફ, નડિયાદ વિભાગીય કચેરીનો સ્ટાફ સહિત એસ.ટી. વિભાગના કર્મચારીઓ, મુસાફરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની સીમા પાસે નિર્માણ પામી રહેલું ટોલ પ્લાઝા દૈનિક 50 હજાર જેટલા વાહન ચાલકો માટે આર્થિક બોજ બનવાની સાથે પારાવાર ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. શહેરના બસ સ્ટેશનથી 11 કિમી દૂર જ એરપોર્ટ પહેલાં જ ટોલનાકું મૂકવાની યોજનાને લઈ સ્થાનિકો, ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 4 વર્ષથી વિરોધ બાદ પણ આ ટોલનાકાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ છે અને માર્ચ-2026 પહેલા આ ટોલનાકું કાર્યરત થતા હવાઈ મુસાફરો, ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતો પર મોટો કરબોજ આવે તેમ હોવાથી આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવાની માગણી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શહેરની તદ્દન નજીક ટોલ પ્લાઝા બનાવાતા વિવાદસૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની તદ્દન નજીક ટોલ પ્લાઝા ઊભો કરવામાં આવી રહ્યો છે. જેનું સ્થળ અને આયોજન શહેરી હિતોને ધ્યાનમાં લીધા વગર નક્કી કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. ‘ટોલ પ્લાઝા બનવાથી 5 ગંભીર સમસ્યાઓ થશે’રોહિત રાજપૂતે જણાવ્યું કે, આ ટોલ પ્લાઝાના કારણે નીચે 5 ગંભીર સમસ્યાઓ ઊભી થવાની છે. શહેરની સીમાની નજીક ટોલ પ્લાઝા ઉભો કરવાથી દૈનિક પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગવાની પૂર્ણ શક્યતા છે. રાજકોટ શહેર પહેલેથી જ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યું છે, તેમાં ટોલ પ્લાઝા ઉમેરાતા ટ્રાફિકજામ નિયમિત સમસ્યા બની જશે. વાહનો અચાનક ધીમા પડવાથી તથા લેન બદલાવના કારણે મોટા અકસ્માતોની સંભાવના પણ વધી જશે, જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે. સમય વેડફાટ અને ફ્લાઇટ ચૂકી જવાની સમસ્યારાજકોટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર જ આ ટોલ પ્લાઝા આવેલો હોવાથી એરપોર્ટ જતા મુસાફરો માટે આ માર્ગ સૌથી વધુ સંવેદનશીલ બની જશે. ટોલ પ્લાઝા પર સર્જાતો ટ્રાફિક જામ મુસાફરોના કિંમતી સમયનો નાશ કરશે, જેના કારણે ઘણા મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ન શકે અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિ રાજકોટ જેવા વિકસતા શહેરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડશે. લોકો પર વધારાનો આર્થિક બોજટોલ પ્લાઝાના કારણે એરપોર્ટ પર આવતા–જતા તમામ મુસાફરોને સીધો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. ટોલ ખર્ચનો ભાર ટેક્સી અને કેબ સંચાલકો દ્વારા ભાડામાં ઉમેરવામાં આવશે, જેના પરિણામે એરપોર્ટ સુધીનું પરિવહન મોંઘું બનશે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વ્યવસાયિક મુસાફરો માટે આ સ્થિતિ અત્યંત અયોગ્ય છે. ટોલનાકાથી શહેરી નાગરિકો સાથે અન્યાયરાજકોટની રિંગ રોડ–3 આ ટોલ પ્લાઝાની બહાર આવતાં શહેરી નાગરિકોને શહેરની અંદર એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે પણ ટોલ ચૂકવવાની ફરજ પડશે. નેશનલ હાઇવેના નામે શહેરની આંતરિક અવરજવર પર ટોલ લાદવો શહેરી નાગરિકો સાથે સીધો અન્યાય છે. ઉદ્યોગ, વેરહાઉસ અને ટ્રાન્સપોર્ટ હબ પર અસર માલિયાસણ વિસ્તાર આસપાસ મોટા પ્રમાણમાં વેરહાઉસ, ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને લોજિસ્ટિક હબ આવેલાં છે. ટોલ પ્લાઝા શરૂ થતાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો બોજ માલસામાનના ભાવમાં ઉમેરાશે. પરિણામે આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી બનશે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડશે. આ તમામ મુદ્દાઓ અંગે ગ્રામજનો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ તથા ટુર-ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા અનેક વખત સબંધિત વિભાગને રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિનું સર્વાંગી મૂલ્યાંકન કર્યા વિના ટોલ પ્લાઝાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્ય ચાલુ રાખવામાં આવી રહ્યું છે. જે લોકહિતના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
સામાન્ય રીતે પોલીસ વિભાગમાં એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જાય છે. પરંતુ આ હાથોને ગુનેગારના કોલર સુધી પહોંચાડવા માટે જે 'બાજ નજર' અને 'નેટવર્ક' જોઈએ, તેનું જીવંત ઉદાહરણ એટલે વડોદરા ક્રાઈમ બ્રાંચના એએસઆઈ (ASI) જ્ઞાનેશ્વર પાટીલ. 37 વર્ષની દીર્ઘકાલીન સેવામાં 350થી વધુ ઇનામો મેળવનાર આ પોલીસકર્મીની વાર્તા નવી પેઢીના અધિકારીઓ માટે કોઈ પાઠ્યપુસ્તકથી કમ નથી. ઘટના કંઈક એવી હતી કે, કેરળના ત્રિવેન્દ્રમથી સીબીઆઈ (CBI)ની એક ટીમ એક વોન્ટેડ આરોપીની શોધમાં વડોદરા આવી પહોંચી. સીબીઆઈએ ક્રાઈમ બ્રાંચ પાસે મદદ માંગી. જ્ઞાનેશ્વર પાટીલે વિગતો સાંભળી અને પોતાના ખબરીઓના નેટવર્કને એક્ટિવ કર્યું. પરિણામ એ આવ્યું કે જે આરોપીને શોધવા સીબીઆઈ સેંકડો કિલોમીટર દૂરથી આવી હતી, તેને પાટીલે માત્ર બે કલાકમાં ઝડપી પાડ્યો. સીબીઆઈના અધિકારીઓ પણ આ ઝડપ જોઈ સ્તબ્ધ થઈ ગયા અને ખાસ પ્રશસ્તિપત્ર મોકલીને તેમની કામગીરીને બિરદાવી. જ્ઞાનેશ્વર પાટીલે તેમની 37વર્ષની નોકરીમાંથી 26 વર્ષ ક્રાઈમ બ્રાંચમાં વિતાવ્યા છે. તેમની સૌથી મોટી વિશેષતા તેમની યાદશક્તિ છે. વડોદરાની એક-એક ગલી અને મહોલ્લાથી તેઓ વાકેફ છે. કોઈ ગુનેગારનું નામ પડે એટલે તેની આખી 'ક્રાઈમ કુંડળી' પાટીલ સાહેબના મગજમાં ખૂલી જાય. કયા આરોપીએ કયા વર્ષમાં કયો ગુનો કર્યો હતો અને તેનું ચોક્કસ સરનામું શું છે, તે તેમને આંગળીના વેઢે યાદ હોય છે. મહત્વના કેસોમાં નિર્ણાયક ભૂમિકા બેસ્ટ બેકરી પ્રકરણ: મુંબઈ કોર્ટમાં પોલીસનો પક્ષ મજબૂતીથી રજૂ કરવામાં મહત્વની ભૂમિકા. NRI મહિલા હત્યા કેસ (2011): ગોત્રી વિસ્તારના આ ચકચારી કેસમાં પોતાની સૂઝબૂઝથી આરોપી સુધી પહોંચ્યા. રેકોર્ડબ્રેક રિકવરી: એક જ વર્ષમાં ૫૨ વાહન ચોરીના ગુના ઉકેલી તમામ વાહનો રિકવર કરવાની સિદ્ધિ. કાબેલ રાઈટર: તેઓ માત્ર મેદાન પર જ નહીં, પણ કાગળ પર પણ એટલા જ મજબૂત છે. તેમણે તૈયાર કરેલી ચાર્જશીટ અને દસ્તાવેજો એટલા સચોટ હોય છે કે આરોપીને સજા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એક સમયે તેઓ ચાર-ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોના રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આજના હાઈટેક યુગમાં સફળ પોલીસમેન કેવી રીતે બની શકાય? ત્યારે તેમણે બહુ સાદો પણ સચોટ જવાબ આપ્યો કે, પ્રમાણિકપણે કાર્ય કરો, ફરજ વિસ્તાર ઉપર પ્રભુત્વ રાખો, હ્યુમન ઇન્ટેલિન્જનું નેટવર્ક વધારો. તમામ સાથે સારો વ્યવહાર રાખો, કોઇ ઘટનાની તપાસ વિશે તમામ પાસાઓ વિચારો. આટલું કરીએ તો પણ પોલીસ તરીકે સારી રીતે કામગીરી કરી શકાય છે 37 વર્ષમાં 350થી વધુ સન્માન પત્રો મેળવવા એ નાની વાત નથી. ગાણિતિક દ્રષ્ટિએ જોઈએ તો તેમણે દર વર્ષે સરેરાશ ૯ જેટલા ઇનામો જીત્યા છે. આજે જ્યારે તેઓ નિવૃત્તિ તરફ છે, ત્યારે તેમનું વ્યક્તિત્વ શિસ્ત, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સપેક્ટર અને 41 પોલીસ સબ ઈન્સપેક્ટરની કરાયેલી બદલી પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનો અને સર્કલ ઓફિસોમાં હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. જે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેઓના નામની યાદી
ગોધરા શહેરમાં મેસરી નદી કાંઠે ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં 11 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગોધરા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા આંકડાના જુગારધામ અંગે SMCને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે 6 જાન્યુઆરી 2026ના રોજ મેસરી નદીમાં નવરચના સ્કૂલ પાછળ આવેલા ખુલ્લા વિસ્તારમાં છાપો માર્યો હતો. SMC પોલીસ દ્વારા દરોડા દરમિયાન જુગાર રમતા અને રમાડતા શખ્સોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ₹26,200 રોકડ રકમ, ₹37,500ની કિંમતના 12 મોબાઇલ ફોન, ₹2,00,000ની કિંમતના 10 વાહનો, 440 પ્લાસ્ટિક ટોકન અને એક રેગિંગ બેગ સહિત કુલ ₹2,63,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમને ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઇરફાનમિયા ઇશાકમિયા મલેક, અબરાર મહેબુબમિયા મલેક, જીતેન રતિલાલ પ્રજાપતિ, રાંગીત સલામભાઈ રાઠોડ, ફિરોઝખાન રસુલખાન પઠાણ, બિલાલ અબ્દુલ ગફારભાઈ શેખ સહિત ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ લાંબા સમયથી મેસરી નદીના કાંઠે ચાલતું હતું. આ કેસમાં મુખ્ય આરોપી રાશિદ ઉર્ફે બંડલ મહેબુબ મલેક સહિત કુલ 11 આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓમાં જુદા જુદા વાહનના માલિકો તેમજ જપ્ત કરાયેલા મોબાઇલ ફોનના માલિકોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ દ્વારા તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI કે. એચ. ઝાંકડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું છે કે જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે SMC પોલીસ સતત નજર રાખી રહી છે. સમગ્ર મામલે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેર અને જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગોધરા શહેરના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના હૉલમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનો સંયુક્ત ક્લસ્ટર કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો હતો. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતીમેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 700થી વધુ નોકરીવાંચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા. ધોરણ 10 પાસથી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારો માટે ટેકનિકલ તેમજ નોન-ટેકનિકલ વિવિધ જગ્યાઓ માટે 42થી વધુ ખાનગી કંપનીઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારોનું સ્થળ પર જ ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી જેવી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના ઔદ્યોગિક હબ હાલોલ ઉપરાંત અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાંથી પણ અનેક નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રોમાંથી આવેલી કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, માર્કેટિંગ, ટેકનિકલ અને સપોર્ટ સ્ટાફ જેવી અનેક જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરી હતી. આ ભરતીમેળો માત્ર નોકરીની તકો પૂરતો સીમિત ન રહેતાં, નોકરીવાંચ્છુક ઉમેદવારોને રાજ્ય સરકારના વિવિધ રોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત પોર્ટલો વિશે માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્વરોજગાર મેળવવા માટે સરકારની વિવિધ યોજનાઓ, લોન સહાય અને તાલીમ કાર્યક્રમો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી ‘ઓલ ગુજરાત ઇન્ટર-કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની કમિશનર અને મેયર ઇલેવન ની ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા રમાઈ રહ્યા છે, આજે ટુર્નામેન્ટના બીજા દિવસે કુલ ચાર મહત્વની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું, આજની યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલ રોમાંચક મેચમાં સુરત કમિશનર-11 એ અમદાવાદ કમિશનર-11 સામે શાનદાર રમતનું પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો,યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર મુકાબલો બીજો મુકાબલો અત્યારે જામનગર કમિશનર 11 અને બરોડા કમિશનર 11 વચ્ચે યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રમત ચાલુ છે, ભરૂચા ક્લબ ખાતે ભારે ટક્કરની મેચ છે એક બાજુ યજમાન ભાવનગર કમિશનર- 11 અને ગાંધીનગર કમિશનર- 11 વચ્ચેની મહત્વની મેચ ભરૂચા ક્લબના મેદાન પર રમાઈ રહી છે, અને આજે રાત્રે ડે-નાઈટ મેચમાં મેયર્સ-11 ગાંધીનગર અને મેયર્સ-11 જૂનાગઢ સામસામે ટકરાશે. આ ટુર્નામેન્ટ દ્વારા વિવિધ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ખેલદિલીની ભાવના વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ અંગે આસિસ્ટન્ટ કમિશનર ડો.મહેશ હીરપરાએ જણાવ્યું હતું કે, 6 તારીખથી 'ઓલ ગુજરાત ઇન્ટર-કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવેલ છે જેમાં કમિશનર ઇલેવન બધા કોર્પોરેશનની અને મેયર ઇલેવન રમી રહી છે આજના દિવસે 7 તારીખે ચાર મેચ હતી, જેમાં કમિશનર ઇલેવન સુરત અને અમદાવાદ વચ્ચે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર મેચ રમાઈ ગઈ હતી, એમાં સુરત વિજેતા થયેલ છે. જામનગર કમિશનર ઇલેવન અને બરોડા કમિશનર ઇલેવનની યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર મેચ ચાલુ છે, જ્યારે ભાવનગર કમિશનર ઇલેવન અને ગાંધીનગર કમિશનર ઇલેવનની મેચ ભરૂચા ક્લબ ઉપર ચાલુ છે અને ડે-નાઈટમાં મેયર્સ ઇલેવન ગાંધીનગર અને મેયર્સ ઇલેવન જૂનાગઢની મેચનું પણ આજે આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢના ચોબારી રેલવે ફાટક પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પસાર થવાની હતી ત્યારે જ એક બેફામ પીકઅપ વાહન ચાલકે બંધ ફાટકને ટક્કર મારી તોડી નાખ્યું હતું. જોકે, ફાટક પર ફરજ પર તૈનાત રેલવે કર્મચારીએ જરા પણ ગભરાયા વગર અત્યંત સમયસૂચકતા વાપરીને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા ટ્રેનને સુરક્ષિત રીતે પસાર કરાવી હતી. પીકઅપ ચાલકની બેદરકારીથી ફાટક ખુલ્યું મળતી વિગતો મુજબ, વંદે ભારત ટ્રેન આવવાનો સમય થયો હોવાથી રેલવે કર્મચારી દ્વારા ચોબારી ફાટક બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પીકઅપ વાહન ચાલકે બંધ ફાટકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ફાટકનું બેરિયર નુકસાન પામીને ખુલી ગયું હતું. ટ્રેન ગમે તે સમયે ધસમસતી આવી શકે તેમ હોવાથી રસ્તો ખુલ્લો થઈ જવો એ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન હતું. રેલવે કર્મીની સમયસૂચકતા: ‘સ્લાઈડિંગ બૂમ’ વડે અકસ્માત ટાળ્યો ફાટક તૂટી જવાની કટોકટીની પળે રેલવે કર્મચારીએ તરત જ સ્લાઈડિંગ બૂમ (ફાટકની બાજુમાં રાખેલા મોટા પાઈપ) નો ઉપયોગ કરી રસ્તો બ્લોક કરી દીધો હતો. જેના કારણે રસ્તા પરના વાહનો થંભી ગયા હતા અને વંદે ભારત ટ્રેન કોઈ પણ અવરોધ વગર સુરક્ષિત રીતે પસાર થઈ શકી હતી. રેલવેમાં ફાટક બંધ કરવાની મુખ્ય 3 સિસ્ટમ હોય છે. • લિસ્ટિંગ બેરિયર: જે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું આડું ફાટક છે. • સ્લાઈડિંગ બૂમ: બંને બાજુ રાખવામાં આવેલા મોટા પાઈપો, જે આડા ખેંચીને ટ્રાફિક રોકી શકાય છે. • સેફ્ટી ચેન: સાંકળ અથવા દોરડા બાંધીને વાહનોને રોકવાની પદ્ધતિ. વાહન ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશેઆ ઘટના અંગે જૂનાગઢના સ્ટેશન મેનેજર પી.સી. રાઠવાએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનના સમયે પીકઅપ ચાલકે ટક્કર મારતા ફાટક ખુલી ગયું હતું, પરંતુ સ્ટાફની ત્વરિત કામગીરીથી સ્લાઈડિંગ બૂમ લગાવી ટ્રેન પસાર કરાઈ હતી. જે વાહન ચાલકે આ નુકસાન કર્યું છે તેની ઓળખ કરી તેના વિરુદ્ધ રેલવે એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ફાટકની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વાહનવ્યવહારને અસર ન પડે..
જૂનાગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા અને ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર કાયદા હેઠળ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને દબોચી લીધો છે. અજમેરના આદર્શ નગરમાંથી ફિલ્મી ઢબે ધરપકડ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના અજમેર શહેરમાં ધામા નાખ્યા હતા. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાઈને રહેતા ધીરેન કારીયાને પોલીસે ચોકસાઈપૂર્વક ગોઠવેલી જાળમાં ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો અને તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો કામે લગાડી હતી. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ધીરેન કારીયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધીરેન કાર્ય વિસાવદર પોલીસ સ્ટેશનમાં પણ 68 લાખનો દારૂ જે પકડાયો હતો તે કેસમાં ફરાર હતો. ધીરેન કારિયાની ટોળકી માત્ર પ્રોહિબિશન જ નહીં, પરંતુ અન્ય અનેક ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલી હતી.ધીરેન અને તેની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી હતી. કોર્ટ દ્વારા ‘ફરારી’ જાહેર કરાયો હતોધીરેન કારીયા એટલો શાતિર હતો કે તે પોલીસ અને કોર્ટ બંનેની કાર્યવાહીથી બચતો રહ્યો હતો. આ મામલે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ દ્વારા તેની ધરપકડ માટે BNSS કલમ-72 હેઠળ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે હાથ ન આવતા, કોર્ટે આખરે BNSS કલમ-84 મુજબ તેને 'ફરારી જાહેર' કરતું જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. ટોળકીના અન્ય સભ્યો જેલ હવાલે ગુજશી ટોકના આરોપમાં ગુનાહિત ટોળકીના અન્ય સભ્યોની જૂનાગઢ પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી અને તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. માત્ર મુખ્ય સૂત્રધાર ધીરેન કારીયા જ નાસતો-ફરતો હતો, જે હવે પોલીસના સકંજામાં છે.
ગોધરા શહેરમાં બસ સ્ટેન્ડ ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિભાગીય પરિવહન અધિક્ષકને પત્ર લખી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સીટી બસ શરૂ કરવાની માંગ કરી છે. શહેરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામને કારણે ગોધરાનું મુખ્ય બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભૂરાવાવ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ સ્થળાંતરને કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને આઈ.ટી.આઈ. (ITI) અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ અસર થઈ છે. બસ સ્ટેન્ડ દૂર થવાને કારણે તેમને કોલેજ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો કે રિક્ષાનો સહારો લેવો પડે છે. અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રભારી આશિષ પટેલે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલકો આ સ્થિતિનો લાભ ઉઠાવી વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેમ ભાડું વસૂલી રહ્યા છે. ગામડાના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે રોજબરોજ આટલું ઊંચું ભાડું ચૂકવવું આર્થિક રીતે મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અને તેમના અભ્યાસ પર થતી અસરને ધ્યાનમાં રાખીને, સંગઠને માંગ કરી છે કે કોલેજ શરૂ થવાના અને છૂટવાના સમયે વિદ્યાર્થીઓ માટે ખાસ સીટી બસની વ્યવસ્થા કરવામાં આવે.
પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશને શહેરની બહેરા-મુંગા શાળા ખાતે અભ્યાસ કરતા બાળકો માટે કચરિયા વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. શિયાળાની ઋતુમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંસ્થાના બાળકો સાથે જોડાણ થાય તે હેતુથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ નીલમભાઈ પટેલે દાતા તરીકે બાળકોને કચરિયું પૂરું પાડ્યું હતું. એસોસિએશનના સભ્યોએ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોના કૌશલ્યને બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નીલમભાઈ પટેલ, મંત્રી ધીલનભાઈ, વકીલ ચિંતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, આશિષ પટેલ, યતીન ગાંધી અને કોર્પોરેટર મનોજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિયાળા દરમિયાન બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરાયેલા આ વિતરણ કાર્યક્રમથી બાળકોમાં આનંદ છવાઈ ગયો હતો. બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા લોક ઉપયોગી કાર્યો કરવાથી સમાજમાં જાગૃતિ આવે છે અને સંસ્થાના સેવાકીય હેતુઓ સિદ્ધ થાય છે.
શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS યુનિવર્સિટી એક નવા વિવાદમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસની કેન્ટીનમાં ફક્ત વેજિટેરિયન ફૂડ જ આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં અંદરખાને ઈંડા સહિતની નોનવેજ વસ્તુઓ વેચાતી હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ NSUIના કાર્યકર્તાઓએ કેન્ટીનમાં ચેકિંગ કર્યું હતું. જેમાં વેજિટેરિયન ફૂડ જ નહીં પરંતુ નોનવેજની વસ્તુઓનું પણ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વેજિટેરિયન ફૂડ સાથે નોનવેજ રાખીને લોકોનો ધર્મ ભ્રષ્ટ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કરતા તેમને બહાર કાઢી ગેટ પર તાળું મારી દેતા અન્ય વિદ્યાર્થીઓને કલાકો સુધી અંદર રહેવું પડ્યું હતું. GLS યુનિ.ની કેન્ટીનમાં NSUIનું ચેકિંગGLS યુનિવર્સિટીની કેન્ટીનમાં ફક્ત વેજિટેરિયન ફૂડ મળતું હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ આ બાબતે ફરિયાદ કરી હતી કે, બોર્ડ પર વેજ દર્શાવાય છે, પરંતુ અંદર કેન્ટીનમાં ઈંડાની વાનગીઓ વેચવામાં આવી રહી છે. તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ ધ્યાન આપ્યું નહીં. જેથી વિદ્યાર્થીઓની આ ફરિયાદ બાદ NSUIના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા અને કેન્ટીનમાં તપાસ હાથ ધરી હતી. NSUI કાર્યકર્તાનો હાજર સ્ટાફને ઈંડા ખવડાવવાનો પ્રયાસચેકિંગ દરમિયાન ઈંડા સામે આવતા હાજર સ્ટાફને જ્યારે NSUIના કાર્યકર્તાઓએ પૂછ્યું તો તેને ઈંડા વેજ હોવાનું કહેતા કાર્યકર્તાઓ ભારે રોષે ભરાયા હતા. જે બાદ એક NSUIના કાર્યકર્તાએ ઈંડાને વેજ કહેનાર વ્યક્તિને ઈંડા ખવડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમજ મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનો ધર્મ ભ્રષ્ટ થતો હોવાનો NSUIનો આક્ષેપNSUI કાર્યકરોએ કરેલી તપાસ દરમિયાન કેન્ટીનમાંથી ઈંડાની વાનગીઓ મળી આવી હતી. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે બહાર ફક્ત વેજ હોવાનું બોર્ડ મારવામાં આવ્યું હતું. જ્યારે અંદર નોનવેજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. વેજનું બોર્ડ લગાવી નોનવેજ વસ્તુઓનું વેચાણ થતા અન્ય વિદ્યાર્થીઓનો ધર્મ ભ્રષ્ટ થતો હોવાનો NSUIના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક કેન્ટીન બંધ કરીકારણ કે, ઘણા વિદ્યાર્થીઓ ધાર્મિક કારણોસર અથવા વ્યક્તિગત પસંદગીના કારણે નોનવેજ ખોરાક લેતા નથી. આવી સ્થિતિમાં કેન્ટીનમાં વેજ હોવાનો વિશ્વાસ રાખીને ફૂડ લેતા હોય અને પછી અંદર નોનવેજ વસ્તુઓ વેચાતી હોય તે જરાય પણ યોગ્ય ન હોવાનો NSUIના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કરતા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તાત્કાલિક કેન્ટીન બંધ કરવામાં આવી હતી. કેન્ટીન સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની માગજોકે, NSUIનો દાવો છે કે, ફરિયાદ બાદ માત્ર અડધા કલાક માટે જ કેન્ટીન બંધ રાખવામાં આવી હતી અને ત્યાર બાદ ફરીથી કેન્ટીન શરૂ કરી દેવાઈ હતી. સંચાલનની આ કામગીરી સામે NSUIએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ કેન્ટીનના સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ થતા જ NSUIના કાર્યકર્તાઓને બહાર કાઢી ગેટ પણ બંધ કરી દેવાયો હતો. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ઘરે જવું હતું પરંતુ ગેટ બંધ કરી દેવાતા તે લોકો અંદર જ ફસાયા હતા. વેજના નામે નોનવેજના વેચાણની ફરિયાદ: વેદાંતસિંગ તોમરગુજરાત NSUI સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વેદાંતસિંગ તોમરે જણાવ્યું હતું કે, GLS યુનિવર્સિટીમાં છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે વેજના નામે નોનવેજનું વેચાણ કરવામાં આવે છે. જે વાસણમાં વેજિટેરિયન ખોરાક બનાવવામાં આવે છે તે જ વાસણમાં નોનવેજ પણ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અડધો કલાક કેન્ટીન બંધ રાખી ફરી શરૂ કરીઆખી કેન્ટીનમાં વેજનું સાઈન રાખીને નોનવેજ આપવામાં આવે છે. જેથી અમારી માગ છે કે આ પ્રકારે જરાય પણ ચલાવી ન લેવાય જેથી કેન્ટીનને બંધ કરી દેવામાં આવે. અમે વિદ્યાર્થીઓના ધર્મને ભ્રષ્ટ નહીં થવા દઈએ. અમે ફરિયાદ કરી તો પણ માત્ર અડધો કલાક કેન્ટીન બંધ રાખી ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

25 C