મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી ગામે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા નિર્મિત વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વૈદિક ગુરુકુળનું ખાતમુહૂર્ત બે વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડે છે, અને આ સંકુલ 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કરશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. તેમણે સંસ્કૃત ભાષાને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત ગણાવી, જેના વિના ઇતિહાસ સમજવો અશક્ય છે. તેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના જતન માટે સરકારની પ્રતિબદ્ધતા જણાવી. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ પ્રશંસનીય છે તેમ પણ તેમણે કહ્યું. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતાં કહ્યું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ ઋષિ-મુનિઓના જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે આ નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે આ સંસ્થાને વૈદિક પરંપરાઓના જતન માટે આદર્શ કેન્દ્ર ગણાવી. શંકરાચાર્યજી મહારાજે તેમના આશીર્વચનમાં અનેકતામાં એકતાનો સંદેશો આપ્યો હતો. તેમણે ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં, તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો દેશ અને દુનિયાનું કલ્યાણ થશે તેમ જણાવી, સરકારને આ અંગે વિલંબ ન કરવા વિનંતી કરી હતી. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર અને અન્ય ટ્રસ્ટીગણ, સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ સહિત આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેર ભાજપે 3 વર્ષ અગાઉ સસ્પેન્ડ કરેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાને સામી ચૂંટણીએ પુનઃ ભાજપનો ખેસ પહેરાવી ઘરવાપસી કરાવતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા છે. અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા બહાર પડી હોવાનો આક્ષેપ હતો અને તેના માટે તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પાર્ટીએ ભાજપાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ટિકિટ ન આપવી જોઇએઅલ્પેશ લિબચીયાની ઘરવાપસીથી વોર્ડ નંબર-17ના કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અત્યંત નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ પક્ષના જ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકાઓ વહેતી કરીને ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોય, તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી. રાઠોડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અલ્પેશ લિબચીયાને પરત લેવાથી માત્ર તેઓ જ નહીં, પરંતુ તેમના સમર્થક કાર્યકરોમાં પણ ભારે અસંતોષ છે. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપે પ્રતિષ્ઠાને ધ્યાને લઈને તેઓને પુનઃ ટિકિટ ન આપવી જોઈએ. સોરી કહેશે તો પણ માફ નહીં કરુંનિલેશ રાઠોડે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, મારી સામે પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લિબચીયા જો મને સોરી કહેશે તો પણ હું તેને ક્યારેય માફ નહીં કરું. જોકે, તેમણે અંતમાં ઉમેર્યું હતું કે ટિકિટ આપવી કે નહીં તે પક્ષના મોવડી મંડળનો નિર્ણય છે. હાલમાં તો આ ઘરવાપસીએ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો કર્યો છે, જેની અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સમીકરણો પર જોવા મળી શકે છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશુંભાજપના શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ લિંબાચિયા એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે. અનેક રીતે એમને પાર્ટીમાં ઘણા બધા એવા કામો પણ કર્યા છે કે જે પાર્ટી હંમેશા યાદ રાખે. કોઈક એક ઘટનાના કારણે સ્વાભાવિક જ છે જેની સામે થયું હોય એને દુખ લાગે, નારાજગી પણ થાય અને એ ઘટનાના કારણે પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ લાંબા સમયથી એમની રજૂઆત હતી અને એમના વર્તન, વાણી અને વ્યવહાર એમને સસ્પેન્ડ કર્યા પછી પણ હંમેશા પાર્ટીને મદદરૂપ થાય એ પ્રકારના જ કામો કર્યા છે. . પાર્ટીમાં જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે તો નારાજગી થવાની સંભાવના રહેતી જ હોય છે. ભારતીય જનતા પાર્ટી એ ખૂબ વિશાળ પરિવાર છે, એ પરિવારની અંદર મનદુઃખ એકબીજાને થતું હોય છે. પરંતુ છેવટે બધા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમને પૂરતું અને ન્યાયસંગત વળતર આપવામાં આવતું નથી. જિલ્લા પ્રશાસન આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવી રહ્યું છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું હનન થઈ રહ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય વળતર વિના જમીન આપવા તૈયાર નથી. આવેદનપત્રમાં તેમણે કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત, માર્કેટ રેટ નક્કી કરવા માટે એક સમિતિ રચવામાં આવે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે તેવી પણ માંગણી છે. ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું જોઈએ. તેમજ, ખેડૂતોની મંજૂરી વિના તેમની જમીનમાં પ્રવેશ ન કરવો જોઈએ. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવા જ પ્રોજેક્ટ માટે વધુ સારું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ જિલ્લામાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આના કારણે નીતિ અને તેના અમલીકરણ વચ્ચે ભેદભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે એક નવો ઈતિહાસ રચ્યો છે. જેમાં આટલા વર્ષોમાં અગાઉ ક્યારેય ન થયું હોય તે રીતે 2025ના વર્ષમાં જ રાજ્યના જુદા-જુદા શહેરોની કુલ 119 ટાઉન પ્લાનિંગ સ્કીમને આખરી મંજૂરી આપી દીધી છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં કુલ 800 ટીપી સ્કીમને મંજૂરી આપી દેવાઈ છે. રૂપાણી સરકારમાં પણ દર વર્ષે સરેરાશ 80થી 90 જેટલી ટીપી સ્કીમને મંજૂરી અપાતી હતી. આટલી ઝડપ છતાં હજુ વિવિધ શહેરોમાં 100 જેટલી ટીપી સ્કીમને મંજૂરી આપવાનું બાકી રહી ગયું છે. એ સિવાયની બાકીની વર્ષોથી લટકતી રહેતી ટીપી સ્કીમોને આખરી મંજૂરી આપી દેવાતા હવે આર્થિક વિકાસ વધશે. શહેરી વિકાસ વિભાગના અધિકારી પ્રકાશ દત્તા આ સંદર્ભમાં જણાવે છે કે, 2025માં 119 ટીપી સ્કીમને મંજૂરી આપી એ બાબત જ દર્શાવે છે કે, સરકાર ખૂબ જ પારદર્શકતાથી કામ કરી રહી છે. વર્ષો જૂની અનેક ટીપીને આખરી મંજૂરી આપી દેવાઈ છે. આમ છતાં હજુ પણ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 100 જેટલી ટીપી સ્કીમને મંજૂરી આપવાની બાકી રહી ગઈ છે. કેટલાક કારણોથી આવી મંજૂરી આપી શકાતી નથી, પરંતુ હવે આ વર્ષના અંત સુધીમાં બાકીની ટીપીને પણ મંજૂરી મળી જાય તેવા પ્રયાસો કરાશે. તેઓએ કહ્યું કે, રાજ્યમાં 550 જેટલી આખરી નગર રચના યોજનાઓ મંજૂર થઈને અમલમાં છે. ઉપરાંત કુલ 46 નગર રચના અધિકારીઓ દ્વારા 410 પ્રારંભિક નગર રચના યોજનાઓ અને 76 આખરી નગર રચના યોજનાઓની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ મેળવવા માટે માત્ર ગ્રાઉન્ડ વર્ક જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા પણ નિર્ણાયક પરિબળ બનશે. ભાજપે પ્રથમ વખત દાવેદારી ફોર્મમાં ઉમેદવારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોવર્સની વિગતો ફરજિયાત કરી છે. ડિજિટલ યુગના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને, ભાજપે ઉમેદવારના ફોર્મમાં એક વિશેષ કોલમ ઉમેરી છે. જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉમેદવારના કેટલા ફોલોવર્સ છે તેની સચોટ માહિતી આપવી પડશે. પક્ષનું માનવું છે કે જે ઉમેદવાર ડિજિટલ માધ્યમથી મતદારો સાથે જોડાયેલા છે, તેઓ ટૂંકા સમયમાં પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. નવસારી જિલ્લામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહ 3,500 થી વધુ ફોલોવર્સ ધરાવે છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના 3,000 થી વધુ ફોલોવર્સ છે. વિજલપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદી પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા હવે જીતનું અગત્યનું પાસું છે. અમારા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાની સાથે ગ્રાઉન્ડ લેવલ પર પણ 'હોમ-ટુ-હોમ' સંપર્કમાં છે. આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપ નિશ્ચિતપણે વિજય મેળવશે. એક તરફ ભાજપ હાઈટેક પ્રચાર તરફ વળી રહ્યું છે, ત્યારે નવસારી કોંગ્રેસે આ અભિગમથી અંતર જાળવ્યું છે. કોંગ્રેસ હજુ પણ પરંપરાગત જનસંપર્ક પર ભાર મૂકી રહી છે અને સોશિયલ મીડિયા ફોલોવર્સને પ્રાથમિકતા આપતી નથી. નવસારી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજન જોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉમેદવારો માટે સોશિયલ મીડિયાના ફોલોવર્સની વિગતો આપવી જરૂરી નથી. અમારા માટે ઉમેદવારનો વોર્ડમાં મતદારો સાથેનો સીધો અને રૂબરૂ સંપર્ક જ સૌથી મહત્વનો છે. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનું વધતું પ્રભુત્વઆધુનિક સમયમાં સોશિયલ મીડિયા પ્રચાર માટેનું સબળ શસ્ત્ર બની ગયું છે: ટાર્ગેટેડ કેમ્પેઈન: ડેટા એનાલિટિક્સ દ્વારા યુવાનો અને ચોક્કસ વિસ્તારના પ્રશ્નો મુજબ જાહેરાતો પ્રસારિત કરવામાં આવે છે. વીડિયો માર્કેટિંગ: રીલ્સ અને ટૂંકા વીડિયો દ્વારા પક્ષની વિચારધારા ઝડપથી ફેલાવી શકાય છે. વોટ્સએપની તાકાત: આઈટી સેલ દ્વારા પાયાના સ્તર સુધી ગ્રાફિક્સ અને મેસેજ પહોંચાડવા સરળ બન્યા છે. પડકારો: ડિજિટલ પ્રચારની સાથે ફેક ન્યૂઝ અને ટ્રોલિંગ જેવી નકારાત્મક અસરો પણ જોવા મળે છે. જે ઉમેદવારો ટેકનોલોજીથી દૂર છે, તેમના માટે બદલાતા સમય સાથે તાલ મિલાવવો હવે કપરું બનશે.
સોમનાથ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં એક યાત્રિકનું બેગ મળી આવ્યું હતું, જેમાં રૂપિયા ૨૩,૦૦૦ રોકડા અને એક મોબાઇલ ફોન હતો. સોમનાથ ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારી દાખવી આ બેગ તેના મૂળ માલિકને પરત કર્યું છે. આ બેગ પ્રસાદી કાઉન્ટર પાસે મળી આવ્યું હતું. પ્રસાદી કાઉન્ટર પર ફરજ બજાવતા ક્લાર્ક કમલેશભાઈ ડોડીયા અને સિક્યુરિટી ગાર્ડ સરમણભાઈ રાઠોડે સતર્કતાપૂર્વક બેગને સુરક્ષિત રાખ્યું હતું. યોગ્ય તપાસ બાદ, આ બેગ અમદાવાદના એક યાત્રિકને સહીસલામત પરત કરવામાં આવ્યું હતું. બેગ પાછું મળતા યાત્રિકે બંને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશભાઈ ડોડીયા અને સરમણભાઈ રાઠોડની આ નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પણ કર્મચારીઓના આ સરાહનીય કાર્ય બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા સકારાત્મક પ્રસંગો સમાજમાં વિશ્વાસ અને માનવતા વધારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રાજકોટ રેન્જ પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા આશરે રૂ. 8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ. 10,000ના ઇનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાથી 'ઓપરેશન નાસતા-ફરતા' હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુના આચરી ફરાર રહેલા ગુનેગારોને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જામનગર પોલીસ અધિક્ષક દ્વારા ઇનામ જાહેર કરાયેલા આરોપીઓને ઝડપી પાડવા અગ્રતા આપવાની સૂચના અપાઈ હતી. રાજકોટ રેન્જ પી.આઈ. આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. સ્ટાફના કાસમ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મિતેશ પટેલ અને કમલેશ રબારીને આરોપીના લોકેશન અંગે સચોટ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દાહોદ હાઈવે પર રાબડાલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ભુવાનસિંગ રાયસિંગ વસુનિયા (રહે. મધ્યપ્રદેશ) છે. તેણે અન્ય સાગરીતો સાથે મળીને વર્ષ 2021માં (પંચકોષી બી-ડિવિઝન ગુ.ર.નં. 112/21) વાડીમાં સૂતેલા ફરિયાદી અને સાક્ષીઓને માર મારી રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 8.50 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં તે છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો અને જામનગર પોલીસે તેના પર રૂ. 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમ બ્લોચ, સંદીપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશિક, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મિતેશ, કમલેશ અને ડ્રાઈવર દિનેશ ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્ગે સંભવિત ખતરાઓને રોકવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીઆતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ-એલર્ટ કરતા પણ સામાન્ય સમયગાળામાં સતર્કતા રાખવી વધુ અનિવાર્ય હોવાથી આ સઘન પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ03/04/2026ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. યાદવ, સબ ઈન્સ્પેક્ટર ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના મહત્વના અને સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. આ કામગીરીમાં વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા: જોડીયા બંદર બાલાચડી વિસ્તાર સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ સચાણા જેટી અને સમગ્ર કોસ્ટલ પટ્ટી શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજરઆ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ્સ, ફિશિંગ સેન્ટરો અને અવાવરુ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવામાં આવી હતી. કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં પૂરતી તકેદારી રાખીને દેશની જળસીમાને સુરક્ષિત રાખવી અને સંભવિત ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવી એ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નવસારી જિલ્લામાં પક્ષ-પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ચીખલી તાલુકાના હરણગામમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અહીંના ડેપ્યુટી સરપંચે પોતાના 100થી વધુ કાર્યકરો સાથે કેસરીયો ત્યાગી પંજો પકડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અનંત પટેલની હાજરીમાં વિધિવત કોંગ્રેસમાં પ્રવેશચીખલીના હરણગામના ડેપ્યુટી સરપંચે ભાજપ સાથેના છેડા ફાડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે તમામ કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, હરણગામના 100થી વધુ સક્રિય ભાજપ કાર્યકરો હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે, જે આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂતી આપશે. પત્ની રાનકુવા બેઠક પરથી મેદાનમાંઆ પક્ષ-પલટાની સાથે જ કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસમાં જોડાયેલા ડેપ્યુટી સરપંચની પત્ની રાનકુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચીખલી તાલુકામાં ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા હસ્તગત કરવા માટે કોંગ્રેસ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહી છે. વાંસદામાં લોકપ્રિયતાનો જંગએક તરફ કોંગ્રેસ કાર્યકરોને પોતાની તરફ ખેંચી રહી છે, તો બીજી તરફ વાંસદા વિસ્તારમાં ભાજપના સાંસદ ધવલ પટેલની વધતી લોકપ્રિયતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે. ધવલ પટેલના વધતા પ્રભાવને પગલે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ચીખલી અને વાંસદા પંથકમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જામી છે.
દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. 6 એપ્રિલ, 2026, સોમવારના રોજ સાંજે 5:30 વાગ્યે હોટેલ શિવ સામે, ત્રણબતી ચોક, દ્વારકા ખાતે યોજાશે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે, જે પક્ષીઓ પ્રત્યેની સેવાભાવના દર્શાવે છે. સંસ્થા દ્વારા દ્વારકાના તમામ પક્ષીપ્રેમીઓને આ નિઃશુલ્ક વિતરણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક અને શૈક્ષણિક ઉર્જાના સંગમ સમાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના 'નૂતન સંકુલ'નો 3-દિવસીય ઉદ્ઘાટન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 'સદધર્મ સમાજસેવા રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સનાતન જ્ઞાન અને રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્રઆ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલય માત્ર એક ઈંટ-પથ્થરની ઈમારત કે સંસ્થા નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને સંસ્કારો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને આ સંકુલ સાચા અર્થમાં ચરિતાર્થ કરશે. આધુનિકતા અને પરંપરાનો સમન્વયમુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે. સંસ્કૃત વિના આપણો ઇતિહાસ અને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત સમજવો અશક્ય છે. રાજ્ય સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ ભાષાના જતન માટે કટિબદ્ધ છે. મુડેટી જેવા અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ આપવાની પહેલને તેમણે બિરદાવી હતી. આ મહાવિદ્યાલય આઝાદીના અમૃતકાળમાં 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સંસ્કૃત એ ઋષિમુનિઓનો વારસો: જગદગુરુ શંકરાચાર્યજગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલી સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે અનેકતામાં એકતાનો સંદેશ આપતા આ સંસ્થાને વૈદિક પરંપરાના જતન માટેનું આદર્શ કેન્દ્ર ગણાવ્યું હતું. સંસ્થાનો ભવ્ય ઇતિહાસઆ વેદ વિદ્યાલયની સ્થાપના પાછળ એક પવિત્ર સંકલ્પ જોડાયેલો છે. પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવા માટે આ બીજ રોપાયું હતું. ત્યારબાદ પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણા અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી 1988માં ટ્રસ્ટની પુન: સ્થાપના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી, 1997ના રોજ આ મહાવિદ્યાલયની શરૂઆત થઈ હતી, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે. આ ગરિમામય સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર, રાજ્યમંત્રી પી.સી. બરંડા, વિવિધ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 4 એપ્રિલે GT vs RRની મેચ છે. તે પહેલાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ ભગવાન અને અલ્લાહના આશીર્વાદ લેતા જોવા મળ્યાં હતાં. ક્રિકેટરો સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે ચાહકોની ભીડ જોવા મળી હતી. રાશિદ ખાને મસ્જિદમાં દુઆ માંગી તો RRના ખેલાડીઓ હનુમાન મંદિરે પુજા કરીગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર અને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને મેચ પહેલાં 3 એપ્રિલે અમદાવાદની જામા મસ્જિદમાં જઈને દુઆ માંગી હતી. તો બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ મોટેરા સ્ટેડિયમના હનુમાન મંદિરે જઈને પૂજા અર્ચના કરીને જીત માટે આશીર્વાદ માંગ્યા. બન્ને ટીમોના ખેલાડીઓએ પોતાના પોતાના ધર્મ અનુસાર પ્રાર્થના કરીને મેચ માટે તૈયારીઓ કરી છે. જયસ્વાલ અને જુરેલ કેફેમાં જોવા મળ્યાક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ‘Komo by Kaffa’ કેફે ખાતે આજે જોવા મળ્યા હતા. ક્રિકેટર્સે અમદાવાદને ઝગમગાવી દીધું હતું. મેચ પહેલાં બંને ક્રિકેટરે કેફેમાં મોજ માણી હતી.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે 1680થી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા જિલ્લાના વિવિધ ઝોનમાં દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. કાર્યકર્તાઓની સુવિધા માટે અમરેલી જિલ્લાને સાવરકુંડલા, ધારી અને અમરેલી એમ ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 1680 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. તેમાંથી, માત્ર જિલ્લા પંચાયત માટે જ આશરે 942 દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. વિધાનસભા વિસ્તાર મુજબ દાવેદારીની વિગતો નીચે મુજબ છે: અમરેલી વિધાનસભા વિસ્તારમાં કુંકાવાવ તાલુકા પંચાયત માટે 89, અમરેલી તાલુકા પંચાયત માટે 101 અને અમરેલી નગરપાલિકા માટે 195 દાવેદારો છે. બાબરા વિધાનસભા વિસ્તારમાં બાબરા તાલુકા પંચાયત માટે 94, બાબરા નગરપાલિકા માટે 110, લાઠી તાલુકા પંચાયત માટે 60 અને દામનગર તાલુકા પંચાયત માટે 75 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સાવરકુંડલા તાલુકા પંચાયત માટે 143, સાવરકુંડલા નગરપાલિકા માટે 223 અને લીલીયા તાલુકા પંચાયત માટે 22 દાવેદારો છે. ધારી વિધાનસભા વિસ્તારમાં ધારી તાલુકા પંચાયત માટે 56, ધારી નગરપાલિકા માટે 125, બગસરા તાલુકા પંચાયત માટે 48, બગસરા નગરપાલિકા માટે 100 અને ખાંભા તાલુકા પંચાયત માટે 65 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. રાજુલા વિધાનસભા વિસ્તારમાં રાજુલા તાલુકા પંચાયત માટે 125 અને જાફરાબાદ તાલુકા પંચાયત માટે 66 દાવેદારો છે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી 24 કલાકમાં ઉમેદવારોને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી શકે છે.
વલસાડ લો કોલેજમાં ABVPનો ઉગ્ર વિરોધ:તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી
વલસાડની લો કોલેજમાં ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના વડા અને અન્ય પ્રાધ્યાપકો સામે ગંભીર આક્ષેપો સાથે આંદોલન શરૂ કરાયું છે. ABVPએ તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી છે, જેથી પુરાવા સાથે છેડછાડ ન થાય. ABVPના કાર્યકરોએ જણાવ્યું કે, જે અધિકારી કે વ્યક્તિ સામે તપાસ ચાલતી હોય, તેમને પદ પર ચાલુ રાખવાથી પુરાવાનો નાશ થવાની કે તેમાં છેડછાડ થવાની શક્યતા રહે છે. સંગઠનનો આરોપ છે કે સંસ્થાના વડા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તપાસને પ્રભાવિત કરી શકે છે. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓએ ABVPના પ્રતિનિધિઓને જણાવ્યું કે, સંસ્થાના વડા અને પ્રાધ્યાપકો દ્વારા તેમના પર માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. સત્તાનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓને ધાક-ધમકી અને પ્રલોભન આપી, કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી બળજબરીપૂર્વક સત્તાધીશોના હિતમાં હોય તેવું લખાણ ગેરકાયદેસર રીતે લખાવી લેવામાં આવ્યું છે. ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો તટસ્થ તપાસ માટે જવાબદારોને પદ પરથી દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મુદ્દો હાલ શૈક્ષણિક જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને કોલેજ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા છે.
ઇકબાલગઢ-ખારા પુલ 62 દિવસ બંધ:બનાસ નદી પર સમારકામ, વૈકલ્પિક માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ-ખારા માર્ગ પર આવેલા બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ થઈ છે. આ કારણે આગામી 62 દિવસ માટે પુલ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, વાહનચાલકોની સુવિધા માટે વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા કરાયેલા રૂટીન ઇન્સ્પેક્શનમાં પુલમાં મરામતની આવશ્યકતા જણાતા, સરકારે આ કાર્ય માટે રૂ. 474 લાખની વહીવટી મંજૂરી આપી છે. હાલમાં પુલના બેરીંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્સન જોઈન્ટની કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત કરાયો છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, તા. 02/04/2026 થી તા. 02/06/2026 (કુલ 62 દિવસ) સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇકબાલગઢથી ખારા તરફ જતા વાહનોએ ઇકબાલગઢથી સરોત્રા, ઘાંટા અને વેરા-બાલુન્દ્રા ત્રણ રસ્તા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે. ખારાથી ઇકબાલગઢ આવવા માટે બાલુન્દ્રા ત્રણ રસ્તાથી વેરા, ઘાંટા અને સરોત્રા વાળો માર્ગ ઉપયોગમાં લેવાનો રહેશે. જોકે, અગાઉ સૂચવેલા વૈકલ્પિક માર્ગને કારણે બાલુન્દ્રા અને ખારા તરફના મોટાભાગના ગામોના લોકોને 15 થી 20 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડતું હતું, જેનાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી. આ સમસ્યાને પગલે 15 થી વધુ ગામના આગેવાનોએ એકત્ર થઈને અધિકારીઓને રજૂઆત કરી હતી. જેના પરિણામે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે નવો વૈકલ્પિક રસ્તો બનાવવાનું શરૂ કરાયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રસ્તો આજ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે અને આવતીકાલથી તેનો ઉપયોગ થઈ શકશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં લોકોને વધુ સુરક્ષિત અને સુગમ્ય વાહનવ્યવહારની સુવિધા મળી રહે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે 12 કરોડના ખર્ચે અત્યાધુનિક મશીનો ફાળવવામાં આવ્યા છે. ગરીબ દર્દીઓને એન્જિયોગ્રાફી અને હાર્ટ સર્જરી જેવી મોંઘી સારવાર મફત મળે તે માટે આ મશીનરી લવાઈ હતી. જોકે, દુર્ભાગ્યની વાત એ છે કે છેલ્લા 11 મહિનાથી આ મશીનો હોસ્પિટલમાં આવી ગયા હોવા છતાં, હૃદયના દર્દીઓ માટે તેનો ઉપયોગ 'શૂન્ય' રહ્યો છે. કરોડો રૂપિયાના સાધનો હોસ્પિટલના ખૂણામાં ધૂળ ખાઈ રહ્યા છે, જ્યારે શહેરના હૃદયરોગના દર્દીઓ મોંઘી ફી ભરીને ખાનગી હોસ્પિટલોના પગથિયાં ચઢવા મજબૂર બન્યા છે. હૃદય માટેની કેથલેબ મશીનનો અન્ય વિભાગોમાં ઉપયોગસિવિલ હોસ્પિટલમાં જે કેથલેબ મશીન લાવવામાં આવ્યું છે, તેનો મુખ્ય હેતુ હૃદયની જટિલ સર્જરી અને એન્જિયોગ્રાફી કરવાનો હતો. પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે, અત્યાર સુધી આ મશીનથી હૃદયની એક પણ સર્જરી કરવામાં આવી નથી. હાલમાં આ મશીનનો ઉપયોગ માત્ર ન્યુરોલોજી અને અન્ય વિભાગો માટે કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ન્યુરોલોજીની એક સર્જરી આ મશીન દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી, પરંતુ જે 'કાર્ડિયાક પેશન્ટ્સ' માટે આ મશીન ખાસ મંગાવવામાં આવ્યું હતું, તેમને તેનો કોઈ જ લાભ મળી રહ્યો નથી. હૃદય વિભાગ માટે આવેલું સાધન અન્ય કામોમાં વપરાતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 11 મહિનાથી આવેલા હાર્ટ મશીનો હજુ પણ સીલપેકનવી સિવિલ હોસ્પિટલના ચોથા માળે સ્થિતિ અત્યંત ગંભીર છે. હૃદયરોગની તપાસ માટે અતિ ઉપયોગી એવા મશીનો હજુ પણ કાગળના પેકિંગ બોક્સમાં જ બંધ હાલતમાં પડ્યા છે. આ બોક્સ પર સ્પષ્ટપણે 'ડિસ્પેચ ઇન્સ્પેક્શન એપ્રિલ 2025'ના સીલ જોવા મળી રહ્યા છે. 11 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ બોક્સ ખોલવાની તસ્દી પણ લેવામાં આવી નથી. હૃદયની તપાસ માટેના આ સાધનો ઇન્સ્ટોલ કરવાને બદલે બંધ રૂમમાં તાળા હેઠળ રાખવામાં આવ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. આ મશીનનો ઉપયોગ માત્ર ન્યુરોલોજી અને એનેસ્થેસિયા (NSC) વિભાગ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. તાજેતરમાં ન્યુરોલોજીની એક સફળ સર્જરી આ મશીન દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે મુખ્ય હેતુ (હૃદયરોગની સારવાર) માટે આ મશીન લાવવામાં આવ્યું હતું, તે હેતુ હજુ સુધી સિદ્ધ થયો નથી. કાર્ડિયાક સર્જનના અભાવે 12 કરોડની મશીનરી બેકારમશીનો હોવા છતાં તેનો ઉપયોગ ન થવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવી સિવિલ હોસ્પિટલ પાસે હૃદયરોગના ઓપરેશન કરી શકે તેવા 'કાર્ડિયાક સર્જન' જ નથી. એન્જિયોગ્રાફી જેવી પાયાની તપાસ માટે પણ હોસ્પિટલ પાસે નિષ્ણાત ડોક્ટરોની ટીમ નથી. આર.એમ.ઓ કેતન નાયકે કબૂલાત કરી છે કે, સુરત સિવિલ પાસે હાલ એક પણ કાર્ડિયાક સર્જન ઉપલબ્ધ નથી. સાધનો હોવા છતાં નિષ્ણાત માનવબળના અભાવે હૃદયરોગના દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર આપીને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે, જ્યાં તેમને હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. હાઈ-ટેક મશીનો હોવા છતાં દર્દીઓની જૂની ટેકનોલોજીથી તપાસકેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક TMT (ટ્રેડમિલ ટેસ્ટ) મશીનો પણ હૃદયના દર્દીઓ માટે મોકલવામાં આવ્યા છે. આ નવા મશીનો અત્યારે બંધ રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારે પણ જૂના થઈ ગયેલા TMT મશીનનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવા અને હાઈ-ટેક મશીનો હોવા છતાં દર્દીઓને જૂની ટેકનોલોજીથી તપાસવામાં આવી રહ્યા છે. જો આ નવા મશીનો સમયસર શરૂ કરવામાં આવે તો હૃદયના ધબકારા અને બ્લોકેજની તપાસ વધુ સચોટ રીતે થઈ શકે તેમ છે, પરંતુ તંત્રની આળસને કારણે આ સુવિધા તાળામાં બંધ છે. તંત્રની આળસને કારણે આ સુવિધા તાળામાં બંધનવી સિવિલ હોસ્પિટલ પાસે નવા મશીનોનો સ્ટોક હોવા છતાં, હાલમાં જુના થઈ ગયેલા ટી.એમ.ટી મશીનનો ઉપયોગ કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. આર.એમ.ઓ કેતન નાયકના જણાવ્યા મુજબ, TMT મશીનો ઇન્સ્ટોલ થઈ ગયા છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. દર્દીઓને અત્યાધુનિક સુવિધાનો લાભ આપવાને બદલે જુના સંસાધનો પર જ નિર્ભર રાખવામાં આવી રહ્યા છે. હૃદય વિભાગ માટે જગ્યાનો અભાવ અને અનિશ્ચિતતાસરકાર દ્વારા નવી સિવિલમાં અલાયદો 'હાર્ટ વિભાગ' શરૂ કરવા માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સાથે વાટાઘાટો ચાલી રહી છે. યુ.એન. મહેતા હોસ્પિટલે આ માટે 4 માળની જગ્યા માંગી છે, પરંતુ સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે જગ્યાનો અભાવ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી જગ્યા ફાળવવામાં ન આવે અને યુ.એન. મહેતાની ટીમ અહીં ન આવે, ત્યાં સુધી આ 12 કરોડના હૃદયના મશીનો વણવપરાયેલા જ રહેશે. પ્રશ્ન એ થાય છે કે જો વિભાગ શરૂ કરવાની તૈયારી નહોતી, તો કરોડોના મશીનો 11 મહિના પહેલા મંગાવીને શા માટે ધૂળ ખાવા માટે મૂકી રાખવામાં આવ્યા છે?.
ભરૂચમાં જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ:55 કેન્દ્રો પર 14,259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શનિવારે, 04 એપ્રિલ 2026 ના રોજ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સમગ્ર પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 14,259 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમના 694 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 21 વધારાના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. તાલુકાવાર વિતરણમાં, ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા. પરીક્ષાના સુચારુ વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો, 55 વહીવટી મદદનીશો, 55 ક્લાર્ક-કમ-ટેક્નિશિયન, 500 ખંડ નિરીક્ષકો અને 57 રિલીવરો સહિત કુલ 283 થી વધુ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પાણી અને સ્વચ્છતા માટે પણ અલગ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે, કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સવારે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લાઈફલાઈન ગણાતી BRTS સેવામાં છેલ્લા લાંબા સમયથી મેન્ટેનન્સના અભાવે બંધ પડેલા 270 જેટલા ઓટોમેટિક સ્વિંગ ગેટને ફરીથી શરૂ કરવા માટે પાલિકાના ટ્રાફિક અને BRTS પ્રોજેક્ટ સેલ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 2,37,86,156ના ખર્ચનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગેટ બંધ હોવાથી મુસાફરો ગમે ત્યાંથી પ્રવેશ કરતા હતાંસુરત BRTS સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા અને અનધિકૃત પ્રવેશ રોકવા માટે ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા. જોકે, યોગ્ય જાળવણીના અભાવે અને ટેકનિકલ ખામીઓને કારણે મોટાભાગના ગેટ લાંબા સમયથી બંધ હાલતમાં હતા. આ ગેટ બંધ હોવાને કારણે મુસાફરો ગમે ત્યાંથી કોરિડોરમાં પ્રવેશતા હતા, જેનાથી અકસ્માતનો ભય રહેતો હતો. હવે પાલિકાએ આ ખામી સુધારવા માટે કમર કસી છે. પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી ભૂતકાળમાં ગેટ રિપેર થયા બાદ ફરી બગડી જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી છે. જે એજન્સીને આ કામ સોંપવામાં આવશે, તેણે માત્ર ગેટ રિપેર નથી કરવાના, પરંતુ આગામી 5 વર્ષ સુધી તેનું સંપૂર્ણ મેન્ટેનન્સ અને જાળવણી પણ કરવાની રહેશે. આ શરતને કારણે હવે એજન્સીએ કામની ગુણવત્તા જાળવવી પડશે. કમિશનરે વિઝિટ કરી ખાનગી વાહનોને રોક્યાં હતાંથોડા દિવસો પહેલા જ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ પોતે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે બીઆરટીએસ કોરિડોરમાં અચાનક વિઝિટ કરી હતી અને ગેરકાયદેસર રીતે કોરિડોરમાં વાહનો ચલાવતા ખાનગી વાહન ચાલકોને અટકાવીને સ્થળ પર જ શિસ્તના પાઠ ભણાવ્યા હતા. કમિશનરની આ કડકાઈ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને બીઆરટીએસ સિસ્ટમને સંપૂર્ણપણે સ્માર્ટ બનાવવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મોરબીના કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જૂના જનસંઘના સભ્ય અને સામાજિક કાર્યકર બાબુલાલ મોહનભાઈ સરડવાએ લેખિત રજૂઆત કરી હતી. તેમણે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પૂર્વ સભ્યને ટિકિટ ન આપવાની માંગ કરી છે. સરડવાએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા માટે સ્વચ્છ છબી ધરાવતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટરો, એડવોકેટ અને ઇજનેરો જેવા નવા ચહેરાઓને ટિકિટ આપવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અગાઉના 52 સભ્યોની બોડીએ વ્યાપક ભ્રષ્ટાચાર આચરી મોરબીની જનતાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે પાલિકાની બોડીએ ભ્રષ્ટાચાર કરીને પાલિકાને તળિયાઝાટક કરી નાખી છે. આ કારણોસર, સરડવાએ સ્પષ્ટપણે માંગ કરી છે કે અગાઉના 52 સભ્યોમાંથી એક પણ સભ્યને ફરીથી ટિકિટ ન આપવામાં આવે. બાબુલાલ સરડવાએ પોતાની રજૂઆતમાં જૂના જનસંઘ અને ભાજપ તેમજ હાલના ભાજપ વચ્ચેના તફાવત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપની છબી સુધરે અને શહેરનો સારો વિકાસ થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 જાંબુઆ બ્રિજ પર ગતમોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. ટેન્કરમાં કેમિકલ ભરેલ હોવાનો ફાયર વિભાગને કોલ મળતા પાંચ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે અંદર એસિડ હોવાનું સામે આવ્યું હતું અને આગ વિકરાળ બનતા ચાર કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. ટાયરની આગે આખા ટેન્કરને ઝપેટમાં લીધુમળતી માહિતી મુજબ, ટેન્કરના ટાયરમાં બૂસ્ટર જામ થવાથી આગ લાગી હતી, જે ઝડપથી આખા ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી. ટેન્કરમાં ‘બેસ્ટ’ નામનું એસિડ ભરેલું હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે હડકાટ ફેલાયો હતો. આ ટેન્કર રાજસ્થાનથી દહેજ તરફ જઈ રહ્યું હતું. આગ લાગતાં નેશનલ હાઈવે પર દૂર સુધી જવાળાઓ દેખાવા લાગી હતી. વાહન-વ્યનવહાર ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતીઆગ અંગેની જાણ થતાં GIDC ફાયર સ્ટેશનની ટીમ સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પાણીગેટ, ERC, TP-13 અને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમો પણ ત્યાં પહોંચીને આગ બુઝાવવાના કામે લાગી ગઈ હતી. પાંચ ફાયર વિભાગની ટીમોએ ચાર કલાકની સતત અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે નેશનલ હાઈવે પર વાહન-વ્યવહારને અસ્થાયી રૂપે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આશરે 23 ટન એસિડ ભસ્મીભૂતઆ ભીષણ આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે, ટેન્કરમાં ભરેલા આશરે 23 ટન એસિડ સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. આગના કારણે ટેન્કર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ પોરબંદર જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં દેગામ બેઠક પર સુમરીબેન નાથા કુછડીયા, ખાગેશ્રી બેઠક પર મેરુ રણમલ ઓડેદરા, મોઢવાડા બેઠક પર નીતાબેન સાદીયા, રાણા કંડોરણા-1 બેઠક પર કરણ કોડિયાતર, રાણા કંડોરણા-2 બેઠક પર બુટાણી રાજેશ અને વિસાવાડા બેઠક પર હિતેશ મોઢવાડીયાનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, પાયાના કાર્યકરો અને જનતાની વચ્ચે રહીને કામ કરતા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. 'આપ' શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નોને મુખ્ય મુદ્દા બનાવી ભાજપ અને કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંકવાની તૈયારીમાં છે. ખાસ કરીને રાણા કંડોરણા અને વિસાવાડા જેવી મહત્વની બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને પાર્ટીએ પરિવર્તનનો સંકેત આપ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ તેજ બનશે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગર-3માં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ અચાનક હિંસક વળાંક લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ યુવક હાથમાં મોટું દાતરડું લઈને ત્યાં પહોંચી ગયો હતો અને ઉભેલા 15થી 20 લોકોના ટોળા સામે જ એક વ્યક્તિ પર હુમલો કરવા દોડ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ હુમલા દરમિયાન કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. હુમલાનો લાઈવ વીડિયો મોબાઈલના કેમેરામાં કેદજ્યારે આ હિંસક ઘટના બની, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ હિંમત દાખવીને સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપી યુવક કેવી રીતે દાતરડું હવામાં વીંઝી રહ્યો છે અને એક વ્યક્તિ પર પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આટલી ભીડ વચ્ચે હુમલો કર્યા બાદ પણ આરોપી કોઈ પણ પ્રકારના ડર વગર અત્યંત આરામથી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો પ્રારંભસોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ ડીંડોલી પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. સામાન્ય રીતે કોઈ પણ ગુનામાં ફરિયાદીની જરૂર હોય છે, પરંતુ આ કિસ્સામાં કોઈ પણ ભોગ બનનાર કે સાક્ષી સામે ન આવતા પોલીસે ગંભીરતા સમજીને પોતે જ ફરિયાદી બની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિડિયોમાં દેખાતા દૃશ્યો ખૂબ જ ગંભીર છે અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપીની ઓળખ થઈ, ધરપકડ માટે ચક્રો ગતિમાનડીંડોલી પોલીસ મથકના પીઆઈ પી.એલ. વાઘેલાએ આ મામલે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની એક ટીમ તાત્કાલિક આરોપીના ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં મળી આવ્યો ન હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર યુવક લીંબાયત વિસ્તારના રુસ્તમપુરાનો રહેવાસી છે. ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા રુસ્તમપુરામાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર વોચ રાખી રહી છે. ટૂંક સમયમાં આરોપી જેલના સળિયા પાછળ હશે: પોલીસપોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પીઆઈ વાઘેલાએ વધુમાં ઉમેર્યું કે, આરોપીની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ખૂબ જ ટૂંકા સમયમાં તેને ઝડપી પાડવામાં આવશે.
ફરી એકવાર વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશમાં સેટિંગ હોવાનું અને દર મહિને અનેક લોકોને મોકલતા હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું હતું. વિશ્વાસમાં આવીને મિલને ડોક્યુમેન્ટ સાથે બેંકના કોરા ચેક અને 12 લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં વિદેશમાં મોકલવામાં ન આવતા ફરિયાદીએ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રૂપિયા પણ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ બે લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા હોવાથી ઈમિગ્રેશન લોયર સાથે મુલાકાત કરીરાણીપમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી છે. મિલન બારોટ ધંધો કરે છે અને તેને યુરોપમાં વર્ક પરમિટથી નોકરી કરવા માટેની ઈચ્છા હતી. જેથી તેને તેની સાથે નોકરી કરતા ભાવેશ પટેલ નામના મિત્રને વાત કરી હતી. ભાવેશ પટેલને પણ વિદેશ જવાની ઈચ્છા હોવાથી બંને લોકો સારા એજન્ટની શોધમાં હતા. ત્યારે ભાવેશ પટેલના એક મિત્રએ તેને ઉસ્માનપુરામાં આવેલા નૈમેષ શાહ નામના ઈમિગ્રેશન લોયરનો રેફરન્સ આપ્યો હતો. જે બાદ જુલાઈ 2024માં બંને મિત્ર નૈમેષ શાહની ઓફિસે ગયા હતા. જ્યાં વિદેશમાં વર્ક પરમિટથી વિઝા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાની લોભામણી લાલચ આપીજે દરમિયાન નૈમેષ શાહે તેની વિદેશમાં સારી ઓળખાણ હોવાની અને દર મહિને 15થી 20 લોકોને વર્ક પરમિટ વિઝા અપાવી સારી કમાણી માટે વિદેશમાં મોકલતા હોવાની લાલચ આપી હતી. યુરોપના ટોપ 5 દેશમાંથી કોઈ એક દેશના વર્ક પરમીટ બીજા અપાવી દેશે અને વીઝા આવી ગયા બાદ 12થી 13 લાખ સુધીનો ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ વિશ્વાસમાં આવીને તમામ અસલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જે બાદ નૈમેષ શાહ દ્વારા કોરા ચેક માંગવામાં આવ્યા હતા. જેથી કોરા ચેક માંગવામાં આવતા ભાવેશ પટેલે તેના અસલ ડોક્યુમેન્ટ પર માંગી લીધા હતા, પરંતુ મિલન બારોટને વિદેશમાં જવાની ઇચ્છા હોવાથી તેને બેંકના કોરા ચેક પણ આપી દીધા હતા. ફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી 12 લાખ લીધાફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી ફરિયાદી પાસેથી નૈમેષ શાહે પૈસાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ નૈમેષ શાહના કહેવાથી 12 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે બાદ ફરિયાદીએ તમામ પૈસા આપ્યા બાદ અસલ ડોક્યુમેન્ટની માંગણી કરતા એક બે દિવસમાં તમામ આપી દેવાનું વચન આપવામાં આવ્યું હતું. જે બાદ 25 ડિસેમ્બરના રોજ વિદેશ મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ અનેક દિવસ બાદ પણ વિદેશ મોકલવામાં ન આવતા આખરે ફરિયાદીએ નૈમેષ શાહ પાસે અસલ ડોક્યુમેન્ટ અને રૂપિયાની માંગણી હતી, પરંતુ 12 લાખ રૂપિયા પરત ન આપતા આખરે ફરિયાદીએ બે લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં તસ્કરોએ એક પશુપાલક પરિવારના ખેતરમાં આવેલા તબેલામાંથી રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર ભેંસોની ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સામે આવી છે. આશરે પોણા ચાર લાખ રૂપિયાની કિંમતના પશુઓની ચોરી થતા પશુપાલક પરિવારે દહેગામ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. બહિયલ-કપડવંજ રોડ પરની ઘટનાપ્રાપ્ત વિગતો મુજબ, બહિયલ ગામના ગજેન્દ્રસિંહ કલ્યાણસિંહ ચૌહાણે દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગજેન્દ્રસિંહ અને તેમનો પરિવાર પશુપાલન અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ બહિયલ-કપડવંજ રોડ પર તેમનું ખેતર આવેલું છે, જ્યાં તેમણે પશુઓ રાખવા માટે તબલો બનાવ્યો છે. પાડોશીએ ફોન કરી ઘટનાની જાણ કરીગત 31 માર્ચના રોજ રાત્રિના સમયે ગજેન્દ્રસિંહ અને તેમના પત્ની અમરતબેન પશુઓને ઘાસચારો નાખી ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ સવારે જ્યારે પરિવાર ખેતરે જવા રવાના થયો ત્યારે રસ્તામાં બાજુનાં ખેતરના માલિકે ફોન દ્વારા જાણ કરી હતી કે તબેલાના દરવાજા ખુલ્લા છે. આ સાંભળી ગજેન્દ્રસિંહ તાત્કાલિક તબેલા પર પહોંચ્યા તો ત્યાંનું દૃશ્ય જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. બે ભેંસો ફરિયાદીના ભાઈની હતીતેમના તબેલામાં બાંધેલી કુલ 4 ભેંસ ગાયબ હતી. જે અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તસ્કરોએ તબેલાના લોખંડના ગેટની સાંકળ કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને પશુઓને ચોરી ગયા હતા. ચોરી થયેલા પશુઓમાં એક ગાભણ ભેંસ, એક પાડી અને ગજેન્દ્રસિંહના મોટાભાઈ અજીતસિંહની બે ભેંસો મળીને અંદાજે 3,85,000 રૂપિયાની કિંમતના પશુધનની ચોરી થઈ છે. 3 દિવસની શોધખોળ બાદ ફરિયાદ નોંધાવીશરૂઆતમાં પરિવારે પશુઓ ક્યાંક છૂટા પડીને આજુબાજુના ખેતરોમાં નીકળી ગયા હશે તે આશાએ ત્રણ દિવસ સુધી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ચોરી થયાની ખાતરી થઈ હતી. ત્યારે એકસાથે ચાર પશુઓની ચોરી થતા દહેગામ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા વખતથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી પશુચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક પશુપાલકોમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગરના માર્ગો પર બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. શહેરના કોબા સર્કલથી ગાંધીનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ફોરવ્હીલર ગાડીના ચાલકે રોડ પર ચાલીને જઈ રહેલા 18 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. હોટલના હેડ સેફનો ફોન આવ્યોને હિમાંગશુના અકસ્માતના સમાચાર આપ્યાપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પેથાપુરના રહેવાસી આદિલભાઈ આરીફભાઈ પરમાર કુડાસણ ખાતે આવેલી ધ મસાલા સિક્રેટ રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે 3 એપ્રિલની રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે આદિલભાઈ પોતાની ડ્યુટી પૂરી કરી ઘરે હતા. ત્યારે તેમને હોટલના હેડ સેફ સુખદેવભાઈ ભટ્ટે ફોન કરીને જણાવ્યું હતું કે, હોટલમાં કિચન હેલ્પર તરીકે કામ કરતો 18 વર્ષીય હીમાંગશુ અર્જુનભાઈ શર્મા અકસ્માતને અકસ્માત થયો છે. જેથી આદિલભાઈ સહિતના સ્થળ પર દોડી ગયા હતા . કારચાલકે પૂરઝડપે ગાડી હંકારી જોરદાર ટક્કર મારીસ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ રાંદેસણ ખાતે રહેતો હીમાંગશુ કોબા સર્કલથી ગાંધીનગર તરફ જવાના રોડ પર સુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસેથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે GJ-18-BN-6637 નંબરની કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી હીમાંગશુને જોરદાર ટક્કર મારી હતી. યુવકને સારવાર અર્થે ખસેડાય તે પહેલાં જ મોતને ભેટ્યોઆ અકસ્માતમાં યુવકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર ચાલક પોતાની કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મીઠાપુર ખાતે રઘુવંશી ગ્રુપ દ્વારા આરપીએલ-2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા અને આરંભડા સહિતના વિસ્તારોમાં રહેતા લોહાણા જ્ઞાતિના યુવા ખેલાડીઓ માટે છે. તેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ સાથે થયો હતો. દીપ પ્રાગટ્ય ઓખા મંડળના વેપારી અગ્રણી અને હોટલીયર બિપીનભાઈ સામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પરિમલભાઈ દાસાણી, રાજુભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ અને દિલીપભાઈ કોટેચા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહાનુભાવોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આરપીએલ-૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારીયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંનેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંનેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે. જે અંગે ખેરાલુ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ફરિયાદસુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યાડભોડા ગામના સુરેખાબેન વિનુજી ઠાકોર ગઈકાલે સવારે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના કુટુંબી નિરમાબેન ઠાકોરના ઘરે પાડોશમાં રહેતા સ્નેહાબેન ઠાકોર ગાળાગાળી કરી રહ્યા હોવાથી સુરેખાબેન ત્યાં સમજાવવા ગયા હતા. આ દરમિયાન સ્નેહાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનું ઉપરાણું લઈને આવેલા ભરતજી ઈશ્વરજી ઠાકોર, અજયજી દશરથજી ઠાકોર (બંને રહે. ડભોડા) અને હંસાબેન ફુલાજી ઠાકોર (રહે. વિસનગર) એ ભેગા મળી સુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' આ મારામારી દરમિયાન ભરતજી ઠાકોરે ઉશ્કેરાઈને ધારિયાના ઉંધા ભાગ વડે સુરેખાબેનને ડાબા કાનના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરો 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. મહિલાને કાનના ભાગે ચાર ટાંકા આવતા પોલીસમાં ફરિયાદઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને કાનના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. આ મામલે સુરેખાબેને ચારેય હુમલાખોરો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ફરિયાદત્રણ શખસોએ દોડી આવી ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યોડભોડા ગામની સીમમાં રહેતા સ્નેહાબેન ઠાકોર અને તેમની બહેન ઘરે હાજર હતા, ત્યારે પડોશમાં રહેતા નિરમાબેન શંકરજી ઠાકોર રસ્તા બાબતે ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે સ્નેહાબેનના ઘરે સામાજિક પ્રસંગે આવેલા તેમના ફોઈ અને અન્ય સંબંધીઓએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. નિરમાબેનના સમર્થનમાં અન્ય ત્રણ શખ્સો વિનુજી હરીજી, સુર્યાબેન વિનુજી અને શંકરજી વેલાજી પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. ધારિયું મહિલાના માથામાં મારી દેતા ચાર ટાંકા આવ્યાઆ ઝઘડા દરમિયાન આરોપીઓએ સ્નેહાબેન અને તેમના ફોઈ વિજયાબેન સાથે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા શંકરજી વેલાજીએ પાસે પડેલું ધારિયું લાવી સ્નેહાબેનના ફોઈ હંસાબેનના માથામાં ડાબી બાજુએ ઝીંકી દીધું હતું. હુમલામાં હંસાબેન લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક 108 મારફતે ખેરાલુ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીહુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સ્નેહાબેન ઠાકોરે નિરમાબેન, વિનુજી, સુર્યાબેન અને શંકરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે રોડ પર કાર વાળવા જેવી નજીવી બાબતમાં બે હિન્દીભાષી શખ્સોએ એક યુવાન અને તેના ભાઈ સાથે માથાકૂટ કરી, માર મારીને કિંમતી ઘડિયાળની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને આર.ટી.ઓ. કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ. 29 ગત રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ભાઈ અને મિત્ર સાથે મિત્રની ઓરા કાર નંબર DD 01 C 3181 લઈને સરદારનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે વેળા એ તેમના પત્નીનો ફોન આવતા કે તેમની તબિયત ખરાબ છે, ભગીરથસિંહે ઉતાવળમાં મેઘાણી ઓડિટોરિયમ પાસેના વળાંકથી કાર પરત વાળી હતી, કાર વાળતી વખતે સામેથી ચાલીને આવતા બે શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને દેખ કે ચલા, અંધા હૈ ક્યા? તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. ભગીરથસિંહ અને તેમના ભાઈ દિપેન્દ્રસિંહ કારમાંથી નીચે ઉતરી ગાળો બોલવાની ના પાડતા, બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી, ભોગ બનનાર યુવાને જ્યારે આ શખ્સોને તેમના નામ પૂછ્યા ત્યારે એકે પોતાનું નામ અમિત જયોતિકુમાર રાકેશ અને બીજાએ દિપક જયસ્વાલ હોવાનું જણાવ્યું હતું, આ ઝપાઝપી દરમિયાન અમિત નામના શખ્સે ભગીરથસિંહના હાથમાંથી રૂપિયા 12,800ની કિંમતની ટાઇટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લીધી નાસી છૂટ્યો હતો, લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો અલગ-અલગ દિશામાં ભાગ્યા હતા, આ મામલે ભગીરથસિંહે બંને શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(4), 115(2), 352 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના હૃદય સમાન સેલવાસના ડેમ વિસ્તારની સમીપમાં આવેલ નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનાએ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. અત્યંત ચોંકાવનારી વિગત એ છે કે, આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ એક શૈક્ષણિક સંકુલ એટલે કે સ્કૂલથી માત્ર 30 મીટરના અલ્પ અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત, તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેમ છે. ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા અને શ્રમ કરી રહેલા 3 નિર્દોષ લોકોના લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ મૃતાત્માઓના પરિવારોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી છે. આ પ્રચંડ બ્લાસ્ટ અને ત્રણ-ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારના જોખમી ગોડાઉનોની મંજૂરી સામે પણ અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યુંજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા આ આદેશમાં મુખ્યત્વે લિવ રિઝર્વમાં રહેલા અને નવા આવેલા અધિકારીઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિગતો મુજબ, કુલ 18 અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો જેઓ અત્યાર સુધી લિવ રિઝર્વમાં હતા તેમને અલગ-અલગ પોલીસ મથકોમાં નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. 5 PIની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂકઆ ઉપરાંત, જિલ્લામાં અગાઉથી કાર્યરત એવા અન્ય 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ તેમની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને કારણે પોલીસ તંત્રમાં નવીનતા આવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સોંપાયેલા નવા પોલીસ મથકોમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે.
પાટણ તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષે હરાજી શરૂ:પ્રથમ દિવસે ₹2326 ભાવ મળ્યો, ખેડૂતોને વાજબી દામ
પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તમાકુનો ભાવ ₹2326 નોંધાયો હતો. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચવા અહીં આવી રહ્યા છે, જ્યાં તેમને રોકડ નાણાં અને યોગ્ય તોલ સાથે સારા ભાવ મળી રહ્યા છે. આ સબયાર્ડ 30 વીઘા જમીનમાં ફેલાયેલું છે અને સમગ્ર ગુજરાતમાં તમાકુ માટેનું સૌથી વિશાળ યાર્ડ ગણાય છે. મોટા ખરીદદાર વેપારીઓની હાજરીને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો અહીં મોટી માત્રામાં તમાકુ લઈને પહોંચી રહ્યા છે. ગત વર્ષે પણ આ માર્કેટયાર્ડમાં ગુજરાતનો સૌથી મોટો તમાકુનો વેપાર નોંધાયો હતો, જેને કારણે આ વર્ષે અન્ય વેપારીઓ પણ ખરીદી માટે જોડાયા છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે પાકા શેડ સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોને તેમના માલના વ્યાજબી ભાવ મળે, વજનમાં પારદર્શિતા જળવાય અને વેચાણ બાદ તરત જ રોકડ નાણાં ચૂકવાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક વધુ હોવાથી અને પાટણ ખાતે વેપારી-ખેડૂતો વચ્ચેના સારા સંબંધોને કારણે માલની આવકમાં વધારો થયો છે. APMC ચેરમેન સ્નેહલ પટેલ અને ડિરેક્ટર કે.સી. પટેલે જણાવ્યું હતું કે હાલમાં અંદાજે 45 થી 50 હજાર બોરીની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે.
ગાંજા વાવેતર કેસ: આરોપીને પાંચ વર્ષની સખત કેદ:પાટણ SOGએ રૂ. 5.22 લાખના 35 છોડ જપ્ત કર્યા હતા
સમી તાલુકાના ઉમેદપુરા ગામમાં ગાંજાના વાવેતર કેસમાં રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને કુલ એક લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ કરાયો છે. આ કેસ 24 જાન્યુઆરી, 2022નો છે, જ્યારે પાટણ SOGએ સમી તાલુકાના બાસ્પાથી રાધનપુર જતા હાઈવે પર આવેલી નર્મદા કેનાલની અમરાપુર બ્રાન્ચ કેનાલ પાસેના એક ખેતરમાંથી દરોડો પાડ્યો હતો. પોલીસે ચણાના પાકની વચ્ચે વાવેલા 52 કિલો 295 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાના 35 લીલા છોડ અને 4510 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત રૂ. 5,22,950 આંકવામાં આવી હતી. આ કેસમાં ઉમેદપુરા (જાખેલ) ગામના કનુભાઈ ચુંડાભાઈ ઠાકોરને આરોપી બનાવવામાં આવ્યા હતા. રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ (સેશન્સ કોર્ટ)ના જજ આર.આર. ચૌધરીએ તેમને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની કલમ 20(એ)(આઈ) અને 20(બી)(2)બી હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને પ્રત્યેક ગુના માટે રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદની સજા પણ ફરમાવી હતી. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કર અને જિતેન્દ્ર જે. બારોટે દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓની સમાજ પર વિપરીત અસર પડે છે. જજે નોંધ્યું હતું કે માદક પદાર્થોનું સેવન ઝડપથી વધી રહ્યું છે અને તે દેશના યુવાધનને ખતમ કરી રહ્યું છે, જે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપીને સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં ગાંજાનું બિયારણ પૂરું પાડવાનો આરોપ ધરાવતા અન્ય આરોપી હસુભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલો ગાંજાનો જથ્થો ખેતરમાં ચણાના વાવેતર વચ્ચેથી મળી આવ્યો હતો, અને સૂકો ગાંજો મિણિયામાંથી પણ મળી આવ્યો હતો.
વલસાડમાં ગરમી ઘટશે, વરસાદનું એલર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હળવા ઝાપટાં, તાપમાન 3 ડિગ્રી ઘટશે
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ગઈકાલે 32C તાપમાન નોંધાયા બાદ આજે પારો ગગડશે અને હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડમાં મહત્તમ તાપમાન 29C આસપાસ રહેવાની સંભાવના છે, જે ગઈકાલના 32C કરતાં 3 ડિગ્રી ઓછું છે. જોકે, ભેજનું પ્રમાણ 64 જેટલું ઊંચું રહેવાને કારણે નગરજનોને બફારાનો અનુભવ થશે. હાલ વલસાડમાં તાપમાન 28C છે, જે અનુભવમાં 30C જેવી ગરમીનો અહેસાસ કરાવી રહ્યું છે. બે બેક-ટૂ-બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વલસાડ સહિતના વિસ્તારોમાં આજે આકાશ વાદળછાયું રહેશે. બપોર બાદ કે સાંજના સમયે હળવા વરસાદી ઝાપટાં પડવાની 30 શક્યતા છે. આ દરમિયાન પશ્ચિમ દિશામાંથી 8 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગામી 4 એપ્રિલ (આજે) માટે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાની આગાહી કરી છે. વલસાડ જિલ્લામાં જો વરસાદ પડે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવતીકાલે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજની સ્થિતિ પર એક નજર: મહત્તમ તાપમાન 29C (ગઈકાલે 32C), વરસાદની શક્યતા 30 ભેજ 64 અને પવનની ગતિ 8 mph (પશ્ચિમ દિશાથી).
આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET) સંચાલિત સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ (ઓટોનોમસ) ખાતે BCA, BBA-ITM, PGDCA અને M.Sc. (ડેટા સાયન્સ) વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિકોત્સવ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સાયન્સ ડીન ડો. દર્શન બી. ચોક્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આઈટી સેક્ટરમાં રહેલી ઉજ્જવળ તકો અને ભવિષ્યના વિષયો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે SPET ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બી.એન. પટેલ, અનવેષભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના અને વિભાગીય વડા ડો. નયન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. મિતેશ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલો વાર્ષિક અહેવાલ વીડિયો સ્વરૂપે રજૂ કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ નિષ્કા જયસ્વાલ, રાશિ ભાનુશાલી અને પ્રિતેશ પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રો. શનિ પટેલે મિત્રતાનું ગીત રજૂ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રો. નિધિ રાણા અને ડો. લતા વેદના સંચાલન હેઠળ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ધારપુર સિવિલમાં વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી:બાળકોને રમતો, નાસ્તો, કીટ વિતરણ; વાલીઓને માર્ગદર્શન અપાયું
પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓટિઝમથી પીડિત બાળકો માટે વિવિધ રમતો, પોષણયુક્ત નાસ્તો અને કીટનું વિતરણ કરાયું હતું, સાથે જ વાલીઓને માર્ગદર્શન પણ અપાયું હતું. NHM અંતર્ગત કાર્યરત DEIC વિભાગમાં 0 થી 18 વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે. આ ઉજવણીમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો, ઓટિઝમ પીડિત બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. RCHO, THO પાટણ, એડિશનલ MS, RMO, પીડિયાટ્રિક વિભાગના ડોકટરો તેમજ RBSK ટીમના નોડલ અધિકારીઓ અને સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, એડિશનલ MS અને RCHO દ્વારા વાલીઓને ઓટિઝમના લક્ષણો, વહેલી ઓળખ અને યોગ્ય થેરાપી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ઓટિઝમ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ઓટિઝમ ધરાવતા બાળકોને સમાનતા તથા સમાવેશપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો હતો. વાલીઓને બાળકોની કાળજી રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. બાળકો માટે આનંદદાયક, શૈક્ષણિક અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ તેમજ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગી થયેલા બાળકોને પોષણયુક્ત નાસ્તો અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી પ્રોત્સાહન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર દામિની પટેલ, ડેન્ટલ મેડિકલ ઓફિસર પ્રિયંશી ભોજક, મેનેજર મિહિર પટેલ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પંચાલ જલ્પા, DEIC વિભાગના સ્ટાફ અને પીડિયાટ્રીશિયન ડોકટરોએ જહેમત ઉઠાવી હતી. તબીબી અધિક્ષક પારુલ શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
જામનગર સિટી-એ PI એ ચાર્જ સંભાળ્યો:સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા પી.આઇ. વી.એમ. ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પી.આઇ. ડોડીયાએ સૌ પ્રથમ પાંચ હાટડી, પટણીવાડ અને વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા. પી.આઇ. ડોડીયાએ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, જે કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' લેવાની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલી હતી, આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી આ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવી છે, ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી કાર્યકરોઓમાંભાવનગર તાલુકા પંચાયતની 210 બેઠકો માટે કુલ 913 કાર્યકરોએ દાવેદારી કરી છે, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે કુલ 381 કાર્યકરો મેદાનમાં છે, જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે 377 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, મળી કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી હતી, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે જિલ્લા ભાજપમાં બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 381 ઉમેદવારો તથા 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 913 ઉમેદવારો અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 ઉમેદવારો નોંધાયા હતા, આમ બે દિવસ દરમિયાન કુલ 1294 જેટલા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો, સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થયા બાદ, હવે સ્થાનિક કક્ષાએ નામોની પેનલ બનાવીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે, ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે, કયા કાર્યકરનું નસીબ ખુલે છે અને કોને ટિકિટ મળે છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી પ્રદેશ કક્ષાએ યાદી મોકલી દેવામાં આવી હતી. કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જ્યારે ભાજપ 9 એપ્રિલે પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારો ફાઈનલ કર્યાઆધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર કોંગ્રેસમાં ચૂંટણી માટે 20 જેટલા ઉમેદવારોના નામને અંતિમ મ્હોર આપી દેવામાં આવી છે અને તેમના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી છે. આ યાદી જોતા કોંગ્રેસ અનુભવી અને જૂના જોગીઓને મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આ ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા હતા. કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે (4 એપ્રિલ) પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાશે. આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલ્ટુની પણ મોસમ શરૂ થઇ ચુકી છે. આ શરૂઆત આ વખતે કોંગ્રેસ નહિ, પરંતુ ભાજપમાંથી થવા પામી છે. ગઈકાલે (3 એપ્રિલ) રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને 2024માં સસ્પેન્ડ કર્યા હતાં, જેમાં એક નામ દેવુબેન જાદવ અને બીજું નામ વજીબેન ગોલતર હતું. કોર્પોરેટરના પતિઓના આવાસ કૌભાંડમાં નામ ખુલ્યાં હતાંવોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં નામ લખાવ્યું હતું. 2024માં મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં બન્નેના નામ આવતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે દેવુબેન જાદવ કાયદો-નિયમન સમિતિના ચેરમેન હતા. આ ઉપરાંત કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને નવજીવન મળ્યું છે. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દૃશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTVમાં કેદ થયા રુંવાડા ઉભા કરી દેતા દૃશ્યોસીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, જ્યારે ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન ઉભી રખાવી મુસાફરને બહાર કાઢ્યોપ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી. રેલવે જવાનોએ ત્વરિત ટ્રેન ઉભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગભરાઈ ગયેલા યુવકને પોલીસનો માનવીય અભિગમટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે. આ પણ વાંચો…ભોપાલ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અકસ્માત, યુવક 5 સેકન્ડમાં 5 વાર ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ઢસડાયો
પાટણમાં પત્નીએ પતિને બચત કરી મકાન બનાવવાની સલાહ આપતા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ પીડિતાએ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠાના ઓગડ તાલુકાના ટોટાણા ગામના વતની અને હાલ પાટણના માખણીયાપરામાં મજૂરી કરતા સુનિતાબેન દેવજીભાઈ પટણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે તેમણે પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણીને દેવું ન કરવા અને બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવી મકાન બનાવવાની વાત કરી હતી. આ સાંભળી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. સુનિતાબેને ગાળો બોલવાની ના પાડતા પતિએ તેમને નીચે પાડી ગળું દબાવ્યું હતું અને હાથમાં રહેલા દાતરડાના ઊંધા ભાગે બરડામાં માર માર્યો હતો. આ દરમિયાન સાસુ કાંતાબેન પટણી અને સસરા રાયાભાઈ પટણીએ પણ છોડાવવાને બદલે સુનિતાબેનને પકડી રાખ્યા હતા. પતિએ તેમને ગડદાપાટુનો માર માર્યો, બંને હાથે બચકાં ભર્યા અને વાળ પકડીને ઘસેડી હતી. સસરા રાયાભાઈએ લાકડાની કાતર ફેંકી હતી, જોકે સુનિતાબેન ખસી જતા તેમને વાગી નહોતું. આ ઘટના બાદ સાસરિયાઓએ સુનિતાબેનને ઘરમાં પૂરી રાખી ક્યાંય જવા દીધા નહોતા. બીજા દિવસે સવારે પતિ દેવજીભાઈ તેમને મોતીસા ચોકમાં ઉતારીને જતો રહ્યો હતો. ત્યાંથી સુનિતાબેન ચાલીને તેમના પિતાના ઘરે પહોંચ્યા હતા અને માતા-પિતાને આપવીતી જણાવતા તેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ સુનિતાબેને પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણી, સાસુ કાંતાબેન અને સસરા રાયાભાઈ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 296(b), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાટણ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટેના ઉમેદવારોના નામોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતની બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી હિતેશભાઈ પટેલ અને વોર્ડ નંબર 10 માંથી મનુભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની બેઠકો પર નજર કરીએ તો, પાટણ તાલુકા પંચાયતની મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી અને બાલીસાણા-1 બેઠક પરથી વિપુલભાઈ પંચાલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકા પંચાયત હેઠળની વામૈયા બેઠક પરથી સેધૂભા એસ દરબાર, અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા અને અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિના નામોની સત્તાવાર જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં પાટણ નગરપાલિકા, પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયત સહિત પાટણ વિધાનસભા અંતર્ગત આવતી જિલ્લા પંચાયતની બાકી રહેલી બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. આ નામોની જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે.
વલસાડમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા:₹13.50 લાખના કેસમાં 9 માસની કેદ, વળતર ચૂકવવા આદેશ
વલસાડ તાલુકાના મગોદ ગામમાં મિત્રતા આધારિત નાણાકીય વ્યવહારમાં ચેક બાઉન્સ થતાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વલસાડની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે આરોપીને 9 માસની કેદ અને ₹13.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મગોદ ગામના રહેવાસી ધર્મેશભાઈ વિનોદભાઈ પટેલે તેમના મિત્ર મિરાજ જગદીશભાઈ પરમારને વિશ્વાસના આધારે કુલ ₹13.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે મિરાજે ચેક આપ્યા હતા. ધર્મેશભાઈએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા, જેના કારણે નાણાકીય વિવાદ વધુ ઘેરો બન્યો હતો. નાણા પરત ન મળતા, ધર્મેશભાઈએ તેમના વકીલ જે.એમ. પુરોહિત મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ વલસાડ JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષે મજબૂત દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરી હતી. આરોપી મિરાજ પરમાર તરફથી વકીલ ડી.એમ. આચાર્યએ પક્ષ રજૂ કર્યો હતો. એડિશનલ સિવિલ જજ પ્રીતિ સાગરની કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈ આરોપી મિરાજ પરમારને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 9 માસની સજા ફટકારી અને ફરિયાદીને ₹13.50 લાખ વળતર રૂપે ચૂકવવાનો આદેશ કર્યો. કોર્ટે ટિપ્પણી કરી કે આવા કેસોમાં દસ્તાવેજી પુરાવા અને વ્યવહારની પારદર્શિતા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ફરિયાદી પક્ષ પોતાની રકમ સાબિત કરવામાં સફળ રહ્યો, જે ચુકાદામાં નિર્ણાયક સાબિત થયું.
મહીસાગરમાં 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
મહીસાગર LCBએ કોઠંબા, લુણાવાડા અને બાલાસિનોર વિસ્તારમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પીઆઈ એમ.કે. ખાંટે વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. આ માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન, LCB સ્ટાફના ASI વિશ્વજીતસિંહ અને કોન્સ્ટેબલ ભરતભાઈને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, બાલાસિનોર GIDC વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં ફરી રહ્યા હતા. પીઆઈની સૂચનાથી LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા. આરોપીઓની બેગની તપાસ કરતા તેમાંથી જુદા-જુદા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. દાગીના અંગે સઘન પૂછપરછ કરતા, બંને આરોપીઓએ આ દાગીના મહીસાગર જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેમણે લુણાવાડા નજીક ઘંટાવ ગામે એક વર્ષ પહેલા એક બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત, ચાર મહિના પહેલા થાણા સાવલી ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી હતી. બાલાસિનોર ટાઉન ખાતે મુસ્લિમ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, ઇન્દિરાનગર વિસ્તારમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોહિતવાસમાં બંધ મકાનમાંથી પણ ચોરી કરી હતી. આરોપીઓ બંધ મકાનોના દરવાજાના નકુચા કાપીને પ્રવેશ કરતા અને તિજોરીઓના લોક તોડી ચોરીને અંજામ આપતા હતા. LCBએ આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ છે: (1) જશપાલસિંહ ઇશ્વરસિંહ રાઠોડ (સીકલીગર), રહે. એસ.ટી. નગર, બાલાસિનોર, તા. બાલાસિનોર, જિ. મહીસાગર અને (2) બલરાજસિંહ ઉર્ફે મલીન્દર ઉર્ફે ડોન મોહનસિંગ શીખ, હાલ રહે. હલધરવાસ, તા. મહેમદાવાદ, જિ. ખેડા, મૂળ રહે. શીખવાડા, ગુરુ નાનક નગર, મહેમદાવાદ, જિ. ખેડા.
ગઢડામાં બે કોમ વચ્ચે ફરી બબાલ, એક ગંભીર:SP સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે, બોટાદ હોસ્પિટલ ખસેડાયા
ગઢડાના વિંછીયા પરા વિસ્તારમાં ફરી બે કોમ વચ્ચે બબાલ થઈ છે. રાત્રિના સમયે થયેલી આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય બેને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રફિકભાઈ હાજીભાઈ સૈયદને પ્રાથમિક સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખસેડાયા હતા. વધુ સારવાર અર્થે તેમને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા, DYSP, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિંછીયા પરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે અને કેટલાક શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા છે. શહેરમાં પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ બબાલની શરૂઆત ગઈકાલે બપોરના સમયે પશુને માર મારવાના મુદ્દે થઈ હતી. આ મામલે મોટી સંખ્યામાં લોકો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રાત્રિના સમયે ફરી તણાવ વધતા આ બબાલ સર્જાઈ હતી. બોટાદના DYSP મહર્ષિ રાવલે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રતનપરમાં મેલડી માતાજીને સમૂહ તાવો:10 હજારથી વધુ ભક્તો પ્રસાદ લેશે, વાર્ષિક આયોજન
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર-1 મેલડી માતાજીના મંદિર ખાતે ૧૧મા સમૂહ તાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. મહાઆરતી સાંજે 4:30 વાગ્યે અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે. આ વાર્ષિક આયોજનમાં રતનપર વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટી પડે છે. આયોજકો દ્વારા શહેરીજનોને માતાજીના પ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. દર વર્ષે 10 હજારથી વધુ લોકો આ સમૂહ તાવાના પ્રસાદનો લાભ લે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેલડી ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગરની જનતાને માતાજીના દર્શન અને મહાપ્રસાદ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે મેલડી ગ્રુપના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાડી હનુમાન પોળનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ઇતિહાસ અનુસાર, આ વિસ્તાર પહેલાં શૂરા શાળવીની પોળ તરીકે ઓળખાતો હતો. તે સમયે શાળવી કોમના લોકો અહીં વસવાટ કરતા હતા, જેઓ વણાટ, કળા અને છાપકામ જેવી કારીગરીમાં નિષ્ણાત હતા. તે સમયે વડોદરામાં વણઝારાની એક પોઠ આવી હતી. પોઠના મોભીએ જણાવ્યું કે તેમને રસ્તામાંથી હનુમાનદાદાની મૂર્તિ મળી હતી, જેને તેઓ બળદગાડામાં સ્થાપિત કરીને નિર્ધારિત સ્થળે લઈ જવાના હતા. બીજા દિવસે વણઝારાની પોઠ આગળ જવા નીકળી, પરંતુ હનુમાનદાદાની મૂર્તિ ધરાવતું ગાડું ઘણા પ્રયત્નો છતાં ખસ્યું નહીં. વધુ બળદો જોડવા છતાં પણ ગાડું આગળ વધ્યું નહીં. આ ઘટનાને કારણે અહીં જ હનુમાનદાદાનું મંદિર બાંધવામાં આવ્યું. આથી હનુમાનદાદા ‘હઠીલા હનુમાનજી’ તરીકે ઓળખાવા લાગ્યા અને શૂરા શાળવીની પોળનું નામ બદલાઈને હનુમાન પોળ થયું. વડોદરાના પ્રાચીન ગરબામાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે: “હાથિયાખાણાના દરવાજે કંઈ હઠીલા હનુમાનજી રે…” મંદિર નજીક તે સમયે બનાવવામાં આવેલો કૂવો આજે પણ અસ્તિત્વમાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ઓછા લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલે ઘાટલોડિયા વોર્ડમાંથી દાવેદારી નોંધાવીભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 એપ્રિલના રોજ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી, હિતેશ બારોટે થલતેજ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ઘાટલોડિયા વોર્ડમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલ સહિતના દાવેદારોએ પણ દાવેદારી કરી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈ એ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ધરમશી દેસાઈ અમદાવાદના મેયર પદ માટેના મુખ્ય દાવેદાર ગણવામાં આવે છે. ધરમશી દેસાઈની સાથે તેમના પુત્ર ધનરાજ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કયા વોર્ડમાંથી કેટલા દાવેદાર ક્યાં ક્યાં ઉમેદવારોએ દાવેદારી કરી ગોતા ઘાટલોડિયા થલતેજ બોડકદેવ બાપુનગર
'આપણે યુદ્ધમાં છીએ..', ઈરાને અમેરિકન ફાઈટર જેટ તોડી પાડયા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
US Iran War: મધ્ય પૂર્વમાં અમેરિકન લડાયક વિમાનો ઈરાન દ્વારા તોડી પાડવા આવ્યા છે, ત્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ઘટનાઓની ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડશે નહીં. NBC ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'આ ઘટનાઓની રાજદ્વારી સંબંધો અને વાતચીત પર કોઈ અસર નહીં પડે, બિલકુલ નહીં. આ યુદ્ધ છે. આપણે યુદ્ધમાં છીએ.' તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ
- એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી - એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું Report on AI : અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.
અમદાવાદમાં આજે બીજી મેચ GT vs RR:વૈભવ સામે રબાડા-સિરાજનો પડકાર; ગુજરાતે રાજસ્થાન સામે 6 મેચ જીતી
IPLમાં શનિવારની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ સીઝનનો આ નવમો મુકાબલો હશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટૉસ 7 વાગ્યે થશે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચ ચેન્નઈ સામે જીતી હતી, જ્યારે ગુજરાતને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ 8 વખત સામસામે આવી છે, જેમાં GTએ 6 અને RRએ 2 મેચ જીતી છે. ગત સીઝનમાં બંને ટીમ વચ્ચે રમાયેલી બે મેચમાં બંનેએ એક-એક મેચ જીતી હતી. વૈભવ પર રહેશે નજર આ મેચમાં રાજસ્થાન રોયલ્સને મજબૂત માનવામાં આવી રહી છે. તેનું સૌથી મોટું કારણ 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું શાનદાર ફોર્મ છે. વૈભવે IPL 2026ની પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સામે માત્ર 15 બોલમાં 50 રન ફટકારી દીધા હતા. તેણે 17 બોલમાં 52 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જોકે, આ વખતે તેનો સામનો કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા ઇન્ટરનેશનલ પેસ એટેક સામે થશે, જે તેના માટે મોટો ટેસ્ટ સાબિત થઈ શકે છે. ગુજરાત પાસે પેસ બોલિંગ એટેક ગુજરાત ટાઇટન્સ પાસે કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની ત્રિપુટી છે. કેપ્ટન શુભમન ગિલે ગત મેચમાં 39 રન બનાવ્યા હતા. જોકે, ટીમની બેટિંગ ચિંતાનો વિષય રહી છે. ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શન ઝડપથી રન બનાવી શકતા નથી. મિડલ ઓર્ડર પણ બહુ ભરોસાપાત્ર દેખાયો નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ રિપોર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેલેન્સ્ડ માનવામાં આવે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને બાઉન્સ મળે છે, પરંતુ બાદમાં બેટિંગ સરળ થઈ જાય છે. સાંજની મેચમાં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવે છે, જેનાથી બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બને છે. આવામાં ટૉસ જીતીને ટીમ ચેઝ કરવાનું પસંદ કરે છે. આ મેદાન પર અત્યાર સુધી 44 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 22 અને ચેઝ કરનાર ટીમે પણ 22 મેચ જીતી છે. હાલની મેચોમાં અહીં એવરેજ સ્કોર 200+ રહ્યો છે અને સ્પિનર્સ કરતા પેસર્સને વધુ સફળતા મળી છે. વેધર રિપોર્ટ અમદાવાદમાં મેચના દિવસે હવામાન ઘણું ગરમ રહેવાનું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજના સમયે પણ તાપમાન ૩૫C ની આસપાસ રહી શકે છે. વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને સંભવિત પ્લેઇંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અશોક શર્મા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા અને દાસુન શનાકા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 7 (કતારગામ ગામ, વેડ રોડ, નંદુ ડોશીની વાડી, ધનામોરાની વાડી)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 7ના વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા અડધા ખુલેલા છે અથવા તૂટેલી હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટના પોલ પર વીજળીના બોર્ડ ખુલ્લા લટકી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને અનેક રજૂઆતો છતાં આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતી લાઈટો ન હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વો દારૂની મહેફિલો માણે છે. સ્થળ પરથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસો પણ જોવા મળ્યા હતાં. સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું, કોઈ કોર્પોરેટર આવતા જ નથી. સુરત મનપામાં ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણહીરા નગરી સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગવા માંડ્યા છે. ખાસ કરીને કતારગામ વિસ્તાર, જે સુરતના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે, ત્યાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં તમામ 120 બેઠકો પર કબજો જમાવવા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણ છે. પરંતુ, આ રાજકીય ખેંચતાણ વચ્ચે કતારગામ વોર્ડ 7ની જનતા અનેક પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. 'ગટરના ઢાંકણા બધા જ ખુલ્લા છે'સ્થાનિક ગીતાબેને જણાવ્યું હતું કે, કમ્પ્લેન કરી હોય તોય કોઈ આવતું નથી અને પ્લસ પાણી તો એકઠામકું આવતું જ નથી, એક ગ્લાસ પાણી જોતું હોય ને તો મોટર ચાલુ કર્યા વગર પાણી આવતું નથી. નીચે ભૂગર્ભ ટાંકામાં એક ગ્લાસ પાણી મોટર ચાલુ કર્યા વગર આવતું નથી. પ્રેશર વગરનું પાણી આવે છે. 'અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે'સ્થાનિક હિરેન વાઘાણીએ જણાવ્યું હતું કે, એક સમસ્યા એ છે કે, કેટલા ટાઈમથી અમે અહીંયા સ્પીડ બ્રેકરની માંગ કરી છે. અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે, એની જાણ કરેલી છે, છતાં પણ અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવતો નથી. એક ફરિયાદ બીજી કરેલી છે, સામે શાકભાજીવાળાની લાઈનો થાય છે, સવારમાં 7:00 વાગ્યામાં ન્યુસન્સ ફેલાવે છે, એની પણ અરજી કરેલી છે, એનો પણ કોઈ નિકાલ થતો નથી. 'ગાર્ડનમાં રોજ અવારનવાર ન્યુસન્સ થાય છે'હિરેન વાઘાણીએ કહ્યું કે, અહીંયા ગાડીઓનું પાર્કિંગ થઈ રહ્યું છે, એની પાછળ અહીંયા મજૂરો જે રાત્રે સૂવા આવે છે, તે લોકો અહીંયા બગાડ કરે છે, સંડાસ-જાજરૂ બધું અહીંયા જ કરે છે. એની પણ ફરિયાદ કરેલી છે, એનું પણ નિકાલ નથી થતો. 'આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી'સ્થાનિક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ રસ્તો છે ને એક શેરી પૂરતો છે, મર્યાદિત રસ્તો છે. પણ એમાંથી રાત્રે 9થી 9:30ની આસપાસ દોઢથી બે કલાક સુધી સૌરાષ્ટ્ર ટ્રાવેલિંગની બસો ચાલે છે. જે ક્યારેક ગમે ત્યારે અકસ્માત થવાની પૂરી સંભાવના છે. કારણ કે આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી. ‘લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે’સ્થાનિક રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે, કોઈ જાહેર જનતા માટેનો રસ્તો નથી, આ એકદમ સેપરેટ અને શેરી ટાઈપનો રસ્તો છે. પણ આ લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે. એટલે રિક્વેસ્ટ છે કે ભાઈ અહીંયાથી આ મોટી બસો અને બીજું સ્પીડ બ્રેકર એક પણ નથી, એટલે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધારે છે. 'એમના ઘરો પચાવી પાડવાની એક ષડયંત્ર ચાલી રહ્યું છે'વેડ વોર્ડ નંબર 7ના આપની ટિકિટના દાવેદાર ડૉ. પ્રીતિ સદાદિયાએ જણાવ્યું હતું કે, અહીંયા કતારગામ, વેડ વોર્ડ નંબર 7 વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે ટીપી રિઝર્વેશનનો. ટીપી 49, 50 અને 51ની અંદર જે રિઝર્વેશનનો સૌથી મોટો પ્રશ્ન છે. એની અંદર એવું છે કે સોસાયટીના લોકોને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર એમને ઘર ખાલી કરવાની નોટિસો આપ્યા વગર જ એમની ઉપર ખાલી કરવા માટેના દબાણો કરવામાં આવે છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યાભાજપ 'પેજ સમિતિ' અને 'કાર્યકર્તા સંમેલન'ના માધ્યમથી ભાજપ આ વખતે ક્લીન સ્વીપ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યુંઆમ આદમી પાર્ટી ગત વખતના પ્રદર્શનને જાળવી રાખવા અને બેઠકો વધારવા માટે 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. લોકોની સ્થાનિક સમસ્યાઓને વાંચા આપી સત્તાધારી પક્ષને ઘેરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાંકોંગ્રેસ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાં છે. દાવેદારોની સાંભળવાની પ્રક્રિયા અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે નડિયાદના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વિસ્તારમાં સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકામાં ભળ્યા બાદ ગામનો વિકાસ રુંધાયો હોવાનું જણાવ્યું હતું. વોર્ડની કુલ વસતી આશરે 20,697 જેટલી આ વોર્ડમાં કમળા, યોગીનગર, ડભાણ અને મંજીપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેની કુલ વસતી આશરે 20,697 જેટલી છે. આગામી ચૂંટણીમાં અહીં બેઠકોનું સમીકરણ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને બે સામાન્ય બેઠકો મુજબ ગોઠવવામાં આવ્યું છે, જેના પર રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગટરના પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષદિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આ વોર્ડમાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં ગટર અને ખરાબ રસ્તાની સમસ્યાઓ જટિલ બની છે. ખાસ કરીને યોગીનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘પંચાયતના શાસનમાં ગટર લાઈનની સફાઈ થતી હતી’યોગીનગરના રહીશ બિપિન પ્રજાપતિએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અહીં ગ્રામ પંચાયતનું શાસન હતું ત્યારે વર્ષમાં બે વાર ગટર લાઈનની સફાઈ થતી હતી, પરંતુ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ ગટરની સમસ્યા વકરી છે. ચોમાસામાં તો સમસ્યા ગંભીર બની જાય છે. જ્યારથી મહાનગર પાલિકા બની છે ત્યારથી વિકાસના કોઈ કામો થયા નથી. અમારી મેન સમસ્યા ગટરની છે. ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહ્યા છેડભાણ ગામના ખ્રિસ્તી ફળિયામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી. અહીં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહ્યા છે. વિસ્તારની મહિલા સંગીતાબેને જણાવ્યું કે, અમે પંચાયતમાં હતા ત્યારે અમારા બધા કામો થતા હતા. પણ જ્યારથી પાલિકામાં ભળ્યા છીએ ત્યારથી કોઈ કામ થતા નથી. ગટર લાઈન ઉભરાઈ છે પણ તે સમસ્યાનું પણ સમાધાન થયું નથી. ‘મનપા બની તે બાદ અમારી સમસ્યામાં વધારો થયો’કોકિલાબેને આક્ષેપ કર્યો હતો કે, અહિં ગટર ઉભરાઈ છે જેથી બાળકો સહિત તમામને ખુબ હાલાકી ભોગવવી પડે છે. સમસ્યા સર્જાય ત્યારે કાઉન્સિલરો માત્ર એક દિવસ પૂરતા આવે છે અને કામગીરીના ફોટા પડાવીને નીકળી જાય છે. બીજા જ દિવસથી પરિસ્થિતિ જસની તસ થઈ જાય છે. મહાનગર પાલિકા બની તે બાદ તો અમારી સમસ્યામાં વધારો થયો છે. મંજીપુરા વિસ્તારમાં પણ રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર જોવા મળી હતી. ગામમાં પ્રવેશતા જ એક તરફ રસ્તાનું કામ ચાલતું હોવાથી અને બીજી તરફનો રસ્તો પણ સાવ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક લોકોની માગ છે કે, રોડના કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી દૈનિક અવરજવરમાં પડતી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે. ડભાણના સ્થાનિક સુમિત્રા બેને જણાવ્યું કે, રસ્તા પર ખાડા પડી ગયા છે, બધે પાણી ભરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેને કારણે કચ્છ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતોગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા માવઠું થયું હતું. અમદાવાદમાં પણ સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારના ઓઢવ, નિકોલ, નરોડા, વિરાટનગર, સિંગરવા, વસ્ત્રાલ, કઠવાડા જેવા વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો.
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુમતી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર AIMIM પાર્ટી દ્વારા જાહેર સભાથી પ્રચાર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લઘુમતી સમાજમાં પ્રભુત્વ ધરાવનારા પાંચ મહાનગરપાલિકાઓ 10 જેટલી નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 630 જેટલા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. આજે 4 એપ્રિલના રોજ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં જે.પી ચોક ખાતે AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવશે. સાંજે 7 વાગ્યે યોજનારી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. ઓવૈસીની પાર્ટી દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશેરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 વોર્ડમાં મુસ્લિમ સમાજનું વધુ પ્રભુત્વ હોવાને લઈને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા 12 વોર્ડમાં 48 જેટલા ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. ઓવૈસીની પાર્ટી દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશે. અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં ગુજરાતના નેતાઓની સાથે મુલાકાત કર્યા બાદ સાંજે 7:00 વાગ્યાની આસપાસ ખાનપુરના જે.પી ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે. ગત વિધાનસભા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ખાનપુર ખાતે સભાને તેઓએ સંબોધન કર્યું હતું. ખાનપુર વિસ્તાર શાહપુર, દરીયાપુર અને જમાલપુર એમ ત્રણેય વોર્ડની બોર્ડર નો વિસ્તાર કહેવાય છે જેના કારણે આ વિસ્તારમાં જાહેર સભા રાખવામાં આવી છે. 48 વોર્ડમાંથી 12 જેટલા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશેAIMIM પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી ગઈકાલે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે ગુજરાતના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સાંજે જાહેર સભાને સંબોધન કરવાના છે. AIMIM પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 જેટલા વોર્ડ જેમાં જમાલપુર, શાહપુર, દરીયાપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, લાંભા, મકતમપુરા, વેજલપુર, સરખેજ, ગોમતીપુર અને વટવા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. AIMIM પાર્ટીમાં બે ઉમેદવારો અત્યારે નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં જમાલપુરમાંથી અફસાના બાનુ ચીસ્તી અને મકતમપુરા વોર્ડમાંથી ઝૈનબબીબીને ફરીથી ટિકિટ મળી શકે છે, જ્યારે જમાલપુર વોર્ડમાંથી જીત મેળવી કોર્પોરેટર બનેલા મોહમ્મદ રફીક ભાઈ હવે પાર્ટીમાં નિષ્ક્રિય છે અને તેમની જમાલપુર નથી લડવાની ઈચ્છા છે પરંતુ, અનામત રોટેશનના કારણે તેઓ લડી શકતા ન હોવાના કારણે ત્યાંથી તેમને ટિકિટ આપવામાં આવનાર નથી જ્યારે મુસ્તાક ખાદીવાલાએ AIMIM પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેથી જમાલપુર વોર્ડમાંથી ફરીથી તેઓ ચૂંટણી લડશે નહીં જ્યારે બીનાબેન ચૌહાણને પણ ટિકિટ આપવામાં આવનાર નથી.
વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી સામાન્ય ચૂંટણીનો માહોલ હાલ ગરમાયો છે. ત્યારે વાપીના મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 6 અને 7માં પહોંચી હતી. આ વખતે ચૂંટણીનો માહોલ જનતાની હાલાકી અને વેપારીઓના રોષથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાપીના હાર્દ સમાન આ બન્ને વોર્ડના મતદારો બ્રીજની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી ખુબ હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે ઓવરબ્રિજના કામને લઈ જનતાનો આક્રોશવોર્ડ નં. 6 અને 7ની સૌથી મોટી અને સળગતી સમસ્યા વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતો બ્રિજ છે. છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ બ્રિજ નિર્માણાધીન અવસ્થામાં છે. આ વિલંબને કારણે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નથી સર્જાઈ, પરંતુ શહેરના બે ભાગ વચ્ચેનું સામાજિક અને આર્થિક અંતર વધી ગયું છે. સ્થાનિકોનો આરોપ છે કે, વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અથવા બેદરકારીને કારણે કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. બ્રિજની કામગીરીને કારણે વાપીનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ હાઈવે પર શિફ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણયની સૌથી માઠી અસર ઝંડા ચોક અને આસપાસના બજાર પર પડી છે. બસ સ્ટેન્ડ ખસતા ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે, જેના કારણે વર્ષો જૂના વેપારીઓનો ધંધો 50% થી 60% સુધી પડી ભાંગ્યો છે. નાના ફેરિયાઓ અને દુકાનદારો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. “સરકાર જમીનદારોના ફાયદા માટે બ્રિજ નથી બનાવતી”વાપીના વર્ષો જૂના રહેવાસી ઉમાશંકર યાદવે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મેં વાપીનો વિકાસ જોયો છે, પણ આ બ્રિજનું કામ કેમ અટકેલું છે તે સમજાતું નથી. અહીં કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી જવાબ આપવા તૈયાર નથી. મંત્રી કનુ દેસાઈ વારંવાર પેપરમાં નિવેદન આપે છે કે, કામ જોરશોરમાં ચાલુ થશે, પણ જમીન પર કંઈ દેખાતું નથી. મને લાગે છે કે સરકાર મોટા જમીનદારોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ નથી બનાવતી. જનતા હેરાન થાય છે, લોકોના ધંધા તૂટી ગયા છે, પણ તંત્રને પડી નથી. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતા આનો જવાબ ચોક્કસ આપશે.” બસ ડેપો શિફ્ટ થવાથી વેપાર પડી ભાંગ્યોસ્થાનિક વેપારી સંજય ભાવસારે બ્રિજને કારણે થતી આર્થિક નુકસાની અંગે જણાવ્યું કે, “વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા માટે સૌથી મોટો મુદ્દો આ ઓવરબ્રિજ જ છે. છેલ્લા ચાર વર્ષથી આ પ્રોજેક્ટ લટકી રહ્યો છે. જેથી અમારી રોજીરોટી પણ ખુબ જ અસર થઈ છે. બ્રિજનું કામ અને બસ ડેપો શિફ્ટ થવાને કારણે ઝંડા ચોક વિસ્તારનો આખો વેપાર પડી ભાંગ્યો છે. ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. મારી પોતાની હાલત એવી થઈ છે કે ઘર ચલાવવા માટે વર્ષોની બચત પણ વપરાઈ ગઈ છે. જે લોકોએ આ પ્રોજેક્ટમાં મોડું કર્યું છે, તેમને મત આપતા પહેલા અમે સો વાર વિચારીશું.” ‘લોકો ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે’જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગાએ જમાવ્યું કે, વાપી મહાનગરપાલિકાની આગામી જે ચૂંટણી આવી રહી છે, એમાં સૌથી મુખ્ય મુદ્દો જો વાપીનો હોય તો એ બ્રિજનો મુદ્દો છે. ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ જ્યારે તોડી પાડવામાં આવ્યો છે ત્યારથી લોકોને ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે ઘણા દુકાનદારોને પણ એનું નુકસાન થઈ રહ્યું છે. ઈસ્ટથી વેસ્ટ હોય કે વેસ્ટથી ઈસ્ટ જવાનું હોય, લોકો ગભરાય છે કે કલાક-બે કલાક ટ્રાફિકમાં નીકળી જાય છે, એના લીધે લોકોનો રોજગાર પણ તૂટી ગયો છે. લોકો હવે આવવાનું એવોઈડ કરે છે. ‘ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા જોવા મળે છે’બીજો મુદ્દો વાપીમાં પાણીની સમસ્યા છે. હવે ગરમીની સીઝન શરૂ થશે એટલે બધાની બોરિંગો સુકાઈ જાય છે, જેથી સંપૂર્ણ ડિપેન્ડન્ટ બધાનું નગરપાલિકાની પાણીની સપ્લાય પર રહે છે. એ સપ્લાય સ્લો થઈ જાય છે અને લોકોને સમયસર પાણી ઓછું મળે છે, એટલે પાણીની સમસ્યા પણ વધી જાય છે. ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા જોવા મળે છે. ઘણા ડામરના રસ્તાઓ પીગળી ગયા, તો એ સારી ગુણવત્તાના રસ્તા બનાવવામાં આવ્યા નથી. મતદારો સ્થાનિક ઉમેદવારને પસંદ કરશે જે લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરે, ના કે કોઈ પાર્ટીમાંથી આવીને પાર્ટીના સિમ્બોલ પર મત માંગીને જીતી ગયા પછી ગાયબ થઈ જાય. પહેલા પણ એવું જોવા મળ્યું છે કે ઘણા એવા ઉમેદવાર હતા જે જીતીને આવ્યા પછી વિસ્તારમાં જોવા મળ્યા નથી. એટલે લોકો ઈચ્છે છે કે, એવા કેન્ડિડેટ હોય જે લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે. લોકોમાં ઉત્સાહની સાથે સાથે રોષ પણ છે. વાપીમાં ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ હવે નિયતિ બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઈનો નાખવામાં આવી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. નિકાલની વ્યવસ્થા હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાય છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર દેખાડો સાબિત થતી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 46 લાંભાના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશ દક્ષેશે કહ્યું કે, ચૂંટાયેલા કોર્પોરેટરો પાંચ વર્ષમાં પાંચ વાર પણ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં માત્ર કોર્પોરેટરોનો જ વિકાસ થયો છે, જ્યારે વોર્ડ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો છે. લાંભામાં આજે પણ સ્મશાન, લાઈબ્રેરી કે જિમ્નેશિયમ જેવી પ્રાથમિક વ્યવસ્થાઓનો અભાવ હોવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાલાંભા વોર્ડમાંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાંભા વોર્ડમાં નારોલ, રંગોળીનગરમાં હાઈફાઈ ચાર રસ્તા, લાંભા બળિયાદેવ મંદિર, વટવા ટર્નિંગ પોઇન્ટ, માંડવી ચોક લાંભા ગામ વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 'લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમની કોઈ વ્યવસ્થા નથી'સ્થાનિક એડવોકેટ અરબાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના ચાર કોર્પોરેટરોને પાંચ વર્ષમાં આજસુધી અમે જોયા નથી. પાંચ વર્ષથી સત્તામાં હોવા છતાં એ લોકો ક્યારેય વોર્ડમાં વિઝીટ કરવા પણ આવ્યા નથી. અમારા વિસ્તારમાં આવેલી કેનાલની આસપાસ કોઈ પણ પ્રકારની સેફટી ગ્રીલ બનાવવામાં નથી. અને ગંદકીને લઈને પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. 'પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં 5 વાર પણ આવ્યા નથી'સ્થાનિક યુવા દક્ષેશએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડમાં વિકાસ થયો જ નથી. અમારા કોર્પોરેટરોએ અહીં કંઈ ધ્યાન આપતા નથી. સવારમાં કોર્પોરેટર માટે બે કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પણ પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં પાંચ વાર પણ આવ્યા નથી. એક યુવાન તરીકે જોઉં તો અહીં લાઈબ્રેરી નથી, જીમ નથી કે લગ્ન કરવા માટે સરકારી હોલ પણ નથી. સામાન્ય જનતાને શું જોઈએ? અહીં રોડ, રસ્તા અને ગટર પણ નથી. રોડ બનાવવામાં આવે તો વરસાદ પહેલા રોડ બને છે અને વરસાદ પડે એટલે રોડ તૂટી જાય છે. 'ફક્ત ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે'સ્થાનિક દક્ષેશએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો શું આ જ વિકાસ છે? મને તો એવું લાગે છે કે અહીં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના માણસોનો જ કોન્ટ્રાક્ટ છે. ભાજપના માણસો ખાલી સોસાયટીએ-સોસાયટીએ જશે, ખાત મુહૂર્ત કરશે, એમના 20થી 25 માણસો આવશે અને ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે. બાકી, બીજું કઈ કામ નહીં કરે. 'આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી'લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડ વિશે પ્રોબ્લેમની વાત કરીએ તો લાંભા વોર્ડમાં કોઈ સમસ્યા નથી. સમસ્યામાં લાંભા વોર્ડ છે એવું લાગી રહ્યું છે. 2010થી આ વોર્ડનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કરવામાં આવ્યો છે. જ્યારથી આ વોર્ડ બન્યો છે ત્યારથી આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી. 'જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી'ઘનશ્યામભાઈ વધુમાં કહ્યું હતું કે, જે જે જગ્યાએ રોડ બનાવવામાં આવે છે એના બે મહિના બાદ એ રોડને ખોદી નાખવામાં આવે છે. રોજ રોજ ઉભરાતી ગટરો બનાવવામાં આવી છે. જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી. 'રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં'વોર્ડ કોંગ્રેસ પ્રમુખે કહ્યું, લાંભા બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગમાં કોઈ સ્થાનિક લોકો રહેતા નથી પરંતુ ત્યાં ટીપીના રોડ બનાવવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ અને ગટરની વ્યવસ્થા પણ એ વિભાગમાં કરવામાં આવેલી છે. જ્યારે લાંભાનો બીજો વિભાગ જ્યાં પબ્લિક વસવાટ કરે છે એ જગ્યાએ કોઈ પણ પ્રકારના રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં. આ વિસ્તારની અંદર જેટલા પણ ગામડા આવેલા છે એ ગામમાં હજી સુધી પીવાના પાણીની ટાંકી પણ નાખવામાં આવેલ નથી. હજી સુધી ત્યાં સ્મશાન પણ બનાવવામાં આવી નથી. પૂર્વ કોર્પોરેટરના ગોળ ગોળ જવાબસ્થાનિકોએ કરેલા આક્ષેપોના જવાબ માટે જ્યારે ભાસ્કરે લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલ સાથે વાત કરતાં તેને ગોળ ગોળ જવાબ આપ્યા હતા, તેના 5 વર્ષના કાર્યકાળના હિસાબો કરાવા લાગ્યા હતાં. 'મે 210 સોસાયટીઓમાં કામગીરી કરી છે'લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલે જણાવ્યું હતું કે, 210 સોસાયટીઓમાં પાણી, ડ્રેનેજ લાઇટ અને રસ્તાઓ માટે મારા બજેટમાંથી 5 વર્ષમાં મેં 1,44,98,659 જેટલું બજેટ ફાળવેલ છે. આ બજેટ 20 ટકા લેખે ફાળવવામાં આવે છે. સોસાયટીમાં આપણે સ્પોટ પર જોવા જઈએ તો 100 ટકા લેખે આ કામગીરી 7,24,93,295 રૂપિયાનું કામ થયેલું હોય.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 16માં રાજકીય માહોલ ગરમાયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જંગલેશ્વર અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોની સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અહીં 1400 મકાનોના ઐતિહાસિક ડિમોલિશન બાદ બેઘર થયેલા લોકોમાં શાસક પક્ષ સામે રોષ છે, તો બીજીતરફ નીલકંઠ પાર્ક અને મેહુલનગરમાં ગંદા પાણી, ઉભરાતી ગટર અને મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજી GIDC પાસે ખરાબ રસ્તા અને પુલના અભાવે જીવલેણ અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે, ત્યારે 'કામ કરશે તેને જ મત'ના મિજાજ સાથે મતદારોએ નેતાઓને આડેહાથ લીધા છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે એક તરફ સત્તાધારી ભાજપ મંજુલાબેન જોષી ગાર્ડન, નવા રોડ-રસ્તા અને મંદિરોની સફાઈ જેવા વિકાસકામોના જોરે ફરી જીતનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગંદા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરો, વરસાદી પાણીનો ભરાવો અને આજી નદીના કાંઠે વકરેલા મચ્છરોના ત્રાસને મુદ્દો બનાવી મેદાનમાં ઉતર્યા છે. આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન મતદારો આગામી ચૂંટણીમાં પક્ષને બદલે કામ કરનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે. વોર્ડમાં કોઈ સમસ્યા નથી, કોઈ સુવિધા ઘટતી હશે તે પુરી કરીશું: પૂર્વ BJP કોર્પોરેટરશહેરના વોર્ડ નં.16 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર રૂચીતાબેન જોશીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા, લાઈટ, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન છે ત્યારે દરેક મંદિરોમાં સ્વચ્છતા જાળવવામાં આવેલી છે. આ ઉપરાંત મંજુલાબેન જોષી ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે, જ્યાં 100 જેટલા યુવાનો પોલીસ બનવા માટે પ્રેક્ટિસ કરે છે અને ત્યાં બાળકો માટેનું ક્રીડાંગણ પણ છે. આરોગ્ય કેન્દ્ર ખૂબ જ સારી રીતે ડેવલપ થયું છે. વોર્ડમાં તમામ જગ્યાએ પાકા રસ્તાઓ છે અને ડ્રેનેજની કોઈ સમસ્યા નથી. લોકોને હજુ પણ કોઈ સુવિધાઓ ઘટતી હશે તે પૂરી કરાવવામાં આવશે. 'પાંચ વર્ષમાં તમામ ગ્રાન્ટ વિકાસના કામોમાં વાપરવામાં આવી'જંગલેશ્વરમાં મકાનો તોડવામાં આવ્યા તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કોઈનું જતું હોય તો તેઓમાં નારાજગી હોય તે આપણે પણ સમજી શકીએ છીએ. જોકે વર્ષ 1990માં ત્યાં TPનો રોડ ફાઈનલ થઈ ગયો હતો. જેથી આ ડિમોલિશન કરવામાં આવ્યું. જોકે તે શાંતિપૂર્ણ રીતે થયું છે. પાંચ વર્ષ દરમિયાન વિકાસ કામોમાં તમામ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. મંદિરો, કોમન પ્લોટ સહિતમાં પતરાના શેડ પણ લગાવ્યા છે. 'અડધા લોકોના મકાન તૂટી ગયા છે અને બાકીના તોડી પાડશે'મહાનગરપાલિકા દ્વારા જ્યાં સરકારી જમીન પર દબાણરૂપ મકાનો તોડી પાડવામાં આવ્યા તે અંકુર સોસાયટીમાં રહેતા મરિયમબેને જણાવ્યું હતું કે, ખોખળદડના નદીકાંઠાના વિસ્તારમાં રહીએ છીએ. જ્યાં મકાનો તોડવા માટે આવ્યા નથી, પરંતુ ત્યાં પણ મકાનો તોડી નાખશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લોકોના મકાનો તૂટી પડતા અહીં ખૂબ જ ગંભીર સમસ્યા થઈ ગઈ છે, અનેક લોકોના અડધા મકાનો પડી ગયા છે અને બાકીના મકાનો તોડી પાડવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. 'RMCના સફાઈકર્મીઓ અનેક સોસાયટીમાં સફાઈ કરવા આવતા નથી'આ ઉપરાંત વોર્ડ નંબર 16માં રહેતા કિરણબેન ભુવડે જણાવ્યું હતું કે, અહીં અમારે છેલ્લા ઘણા સમયથી લાઇટ, પાણી અને ગંદકીની સમસ્યા છે. અહીં આવેલા જંગલેશ્વરમાં વોકળા ખૂલ્લા હતા. જેને લીધે પ્રાણીઓ તેમાં પડી જતા હતા અને જીવ ગુમાવતા હતા. જેથી વર્ષ 2022માં કોર્પોરેશનમાં અરજી આપી હતી. જે બાદ ત્યાં પતરા નાખવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને પગાર આપવામાં આવે છે આમ છતાં પણ તેઓ અહીં આવેલી અનેક સોસાયટીઓમાં સફાઈ કરવા માટે આવતા જ નથી. જે બાદ ફરિયાદ કરવામાં આવે તો અઠવાડિયે એક વખત સફાઈ કરવા માટે આવે છે. 'પાણી, ડ્રેનેજ, લાઇટના પ્રશ્નોને પ્રાયોરીટી આપશે પક્ષને અમે પ્રાયોરીટી આપીશું'અહીં 20 મિનિટ પાણી આપવામાં આવે છે જો કે ઉનાળામાં ખૂબ જ તકલીફ પડે છે. જેથી કોર્પોરેશને અડધો કલાક પાણી આપવું જોઈએ. અમારા પાણી, ડ્રેનેજ, લાઇટ જેવા કોમન પ્રશ્નોને પ્રાયોરીટી આપે તે પક્ષને અમે પ્રાયોરીટી આપીશું. અમારા વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે તે પણ મને ખ્યાલ નથી કારણકે તેઓ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં આવ્યા જ નથી. પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડે તેમની પાસેથી બીજી શું આશા હોય: AAP પ્રભારી, વોર્ડ નં.16 વોર્ડ નંબર 16ના આમ આદમી પાર્ટીના પ્રભારી અને એડવોકેટ વિવેક લીંબસીયાએ જણાવ્યું હતું કે, અહીં નીલકંઠ પાર્ક, સાગર સોસાયટી, કેદારનાથ અને જંગલેશ્વર જેવા વિસ્તારો આવે છે. અહીં રહેણાંક વિસ્તારની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી, ગટર અને ગંદકીની છે. આ જ રીતે આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલો છે. અહીં ખરાબ રસ્તાઓની સમસ્યા વર્ષોથી છે. રાજકોટના 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી ન શકે તો તેમની પાસેથી બીજી શું આશા હોય શકે?. અહીં આરોગ્ય કેન્દ્રમાં તબીબ તો સરકારી શાળામાં શિક્ષકોનો અભાવતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ભાજપના પૂર્વ ચાર કોર્પોરેટર વિસ્તારમાં આવતા હોય તો લોકોને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા ન હોય. અહીં આરોગ્ય કેન્દ્રમાં તબીબ તો સરકારી શાળામાં શિક્ષકોનો અભાવ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપની જે નિષ્ફળતા છે તેને સફળતામાં બદલવામાં વિઝન સાથે આમ આદમી પાર્ટી લોકો સમક્ષ જશે અને લોકોમાં પોતાનો વિશ્વાસ પેદા કરશે. વ્યવસ્થિત પૂલનું નિર્માણ થાય તો વેપારી વર્ગની મુશ્કેલી દૂર થશે: સ્થાનિક કોઠારીયા મેઈન રોડ ઉપર રહેતા મિલનભાઈ રૂપાવટીએ જણાવ્યું હતું કે, અહીં વોર્ડ નંબર 16માં છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહીએ છીએ. અહીંના રસ્તાઓ સારા છે અને ખૂબ જ સારું મંજુલાબેન જોશી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અહીં રહેણાંક વિસ્તારમાંથી સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારમાં જવું હોય તો આજી નદીનો બેઠો પૂલ છે. જેને લીધે ત્યાંથી જવામાં તકલીફ પડે છે અને તેને કારણે હાઇવે પરથી રોંગ સાઈડમાં જવું પડે છે. જેને કારણે અકસ્માતોની ઘટના બને છે. જેથી વ્યવસ્થિત પૂલનું નિર્માણ થઈ જાય તો વેપારી વર્ગની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. 'ભાજપ કોર્પોરેટરો રાત-દિવસ જોયા વિના અમારી પડખે ઊભા રહે છે'સ્થાનિક જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 16માં છેલ્લા 35 વર્ષથી રહું છું. મારું પિયર વોર્ડ નંબર 17માં છે જેથી નાનપણથી જ આ વિસ્તારમાં રહું છું. અત્યારે જે મંજુલાબેન જોષી ગાર્ડન છે ત્યાં પહેલા ખુલ્લો પટ્ટ હતો. જેને કારણે ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. જોકે હવે તે સમસ્યા દૂર થઈ છે. અહીં પાણીની કોઈ સમસ્યા નથી. જોકે અહીંના લોકોનો સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણી ભરાઈ જવાનો છે. ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો અહીં પાણી ભરાઈ જાય છે, પાણી ઘરમાં ઘૂસી જાય છે જેને લીધે આખું ઘર પાણી પાણી થઈ જાય છે. જેથી વરસાદી પાણીનો નિકાલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે, પરંતુ આ વખતે મત તો ભાજપને જ આપશું કારણકે અહીંના ભાજપ કોર્પોરેટરો રાત-દિવસ જોયા વિના અમારી પડખે ઊભા રહે છે. ચોમાસામાં વરસાદ આવે એટલે 80 ફૂટના રોડ પર પાણી ભરાઈ જાયનિવૃત શિક્ષક બળવંતભાઈ રામાવતે જણાવ્યું હતું કે, અહીં શિક્ષણની વ્યવસ્થા સારી છે. બાજુમાં જ હરિઓમ સ્કૂલ છે આ ઉપરાંત અન્ય બે ખાનગી સ્કૂલો પણ છે. રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન છે ત્યારથી વિકાસ તો અવિરત ચાલુ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કોઈપણ સમસ્યાઓ હોય તો અહીંના કોર્પોરેટરો સ્વજન તરીકે અમારી સાથે ઉભા રહ્યા છે. જોકે અહીંનો અમૂક ભાગ સૂચિત રહી ગયો છે. જો કે તે કાયદેસર થાય તે માટે કોર્પોરેટરો મહેનત કરી રહ્યા છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવેલી છે. જોકે ચોમાસામાં વરસાદ આવે ત્યારે 80 ફૂટના રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. જે સમસ્યા દૂર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. 'વોર્ડ નં.16ના આ વિસ્તારોમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ ગઈ'રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં વોર્ડ નંબર 16માં મેહુલનગર, ગોવિંદનગર, નાડોદાનગર, જંગલેશ્વર, દેવપરા અને હુડકો સહિતના વિસ્તારો આવેલા છે. આ વોર્ડમાં ભાજપની સત્તા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. અહીં મચ્છરોનો ખૂબ ત્રાસ છે. મહાનગરપાલિકામાં અરજી કરવા છતાં પણ આ વિસ્તારમાં એક પણ વખત ફોગિંગ કરવા માટે કોઈ આવ્યું નથી. અહીં આજી નદીમાં ગાંડી વેલના કારણે મચ્છરોનો અસહ્ય ત્રાસ છે. અનેક વિસ્તારની સોસાયટીઓમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબતેમણે જણાવ્યું કે, આ વોર્ડમાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ડિમોલિશન કરવામાં આવ્યું. રમઝાન માસની પણ પરવાહ કરવામાં ન આવી અને લોકોને બેઘર કરવામાં આવ્યા. હાલ ડિમોલિશન બાદ કાટમાળ એ જ સ્થિતિમાં પડ્યો છે. જેને લીધે અતિશય ગંદકી ફેલાઈ છે અને લોકોને રોગચાળાનો સામનો કરવો પડે છે. નાડોદાનગર, ન્યૂ સાગર સહિતની સોસાયટીઓમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. સફાઈનો બહુ મોટો પ્રશ્ન છે અને ટીપરવાન સમયસર આવતી નથી. લોકોને સારું પીવાનું પાણી મળે અને આરોગ્યની સુવિધા સારી મળેજો આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા આવશે તો જંગલેશ્વરમાં જે લોકોના મકાનો પડી ગયા છે તેઓને રહેવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. તાજેતરમાં મેહુલનગરમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. જ્યાં ટાઈફોઈડ અને મેલેરિયા જેવા રોગોનો ફેલાવો થયો છે તો લોકોને સારું પીવાનું પાણી મળે અને આરોગ્યની સુવિધા સારી મળે તેવા પ્રયત્નો રહેશે. પીવાનું પાણી ઓછું આવે છે અને ચોમાસામાં ગટર ઉભરાવવાના પ્રશ્નોનીલકંઠ પાર્ક શેરી નંબર 5માં રહેતા તસ્લીમબેને વધુમાં જણાવ્યું હતું કે, પીવાનું પાણી ઓછું આવે છે અને ચોમાસામાં ગટર ઉભરાવવાના પ્રશ્નો છે. અહીં સ્પીડ બ્રેકર નાખવા માટે ત્રણ વખત અરજી કરેલી છે આમ છતાં પણ કોઈ સ્પીડ બ્રેકર નાખવા આવતું નથી. થોડા સમય પહેલા અકસ્માતમાં એક ભાઈ મરતા મરતા બચી ગયા. જે લોકો સારું કામ દેખાડશે તેને મત આપશું. TPનો રોડ ભાજપના કોર્પોરેટરોએ મહા મહેનતે ખુલ્લો કરાવ્યોજ્યારે વાસુર બોરીચાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 16ના વિવેકાનંદનગર વિસ્તારમાં રહું છું. કોઠારીયા રોડ પર નંદા હોલ ચોકથી જંગલેશ્વરમાં ભવાની ચોક જતો રસ્તો છેલ્લા 18 વર્ષથી બંધ હતો. અહીંથી ટીપીનો 15 મીટરનો 50 ફૂટનો રોડ નીકળે છે. જે TPનો રોડ ભાજપના કોર્પોરેટરો દ્વારા મહેનત કરીને ખુલ્લો કરાવવામાં આવ્યો છે. હાલ આ રોડનું કામ ચાલુ છે જેથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોને દેવપરા કે સોરઠીયાવાડી ફરીને આવવું નહીં પડે. તેઓ સીધા કોઠારીયા રોડ પહોંચી શકે તે પ્રકારનો આ રોડ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કચ્છની 5 નગરપાલિકામાં 1.70 લાખ મતદારોનો વિક્રમી ઘટાડો નોંધાયો
કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, જેમાં આ વખતે 5 નગરપાલિકાઓની સાથે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં અંજાર (36 બેઠક), ભુજ (44), ગાંધીધામ (52), માંડવી (36) અને મુન્દ્રા (28) એમ કુલ 196 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 4,29,450 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, વર્તમાન ચૂંટણીના ચિત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગાંધીધામ હવે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા (મનપા) બની ગયું છે, જેના કારણે નગરપાલિકાઓની યાદીમાંથી ગાંધીધામની 52 બેઠકો બાદ થઈ છે અને તેની ખાલી પડેલી જગ્યાએ નખત્રાણા નગરપાલિકાનો નવો સમાવેશ કરાયો છે. નખત્રાણામાં 24 બેઠકો ઉમેરવામાં આવતા હવે પાંચ નગરપાલિકાઓની કુલ બેઠકોની સંખ્યા 172 થઈ છે, જ્યાં ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ગાંધીધામ મનપા બનતા તેના સીમાંકનમાં ધરખમ ફેરફાર થયો છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાતા મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2021માં ગાંધીધામમાં 1,73,714 મતદારો હતા, જે આ વર્ષે વધીને 2,15,313 પર પહોંચી ગયા છે. આ નવા આંકડા મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકામાં 1,12,250 પુરુષ મતદારો, 1,03,059 સ્ત્રી મતદારો અને 4 અન્ય મતદારો નોંધાયા છે. આમ, 2021ની સરખામણીએ નગરપાલિકા સ્તરે 24 બેઠકોનો ઘટાડો (196 સામે 172) થયો છે, પરંતુ ગાંધીધામ મહાનગરપાલિકામાં 41,599 જેટલા નવા મતદારો ઉમેરાતા કચ્છના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવ્યો છે. નખત્રાણાના નવા સમાવેશ અને ગાંધીધામના મનપા તરીકેના ઉદય સાથે કચ્છમાં લોકશાહીનો આ જંગ આ વખતે વધુ રસાકસીભર્યો અને વ્યાપક બને તેવી શક્યતા છે. વર્ષ 2021 અને 2026માં મતદારોમાં થયેલ ફેરફાર કચ્છ જિલ્લા પંચાયતની 2 બેઠક ઓછી થઇ પાંચ વર્ષમાં 98,495 મતદારોનો ઘટાડોકચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ હાલ સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ વખતે મતદારોના આંકડામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. વર્ષ 2021ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો પર કુલ 10,75,380 મતદારો નોંધાયા હતા, જેમાંથી 6,80,156 લોકોએ મતદાન કરતા 63.25% મતદાન નોંધાયું હતું. જોકે વર્ષ 2026માં ગાંધીધામ મહાનગરપાલિકા બનતા અને SIRની કામગીરીને કારણે જિલ્લા પંચાયતની બે બેઠકો ઓછી થઈ છે. જેમાં મીઠી રોહર અને અંતરજાળનો સમાવેશ થાય છે. જેથી હવે આ વર્ષે 38 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ ફેરબદલને કારણે કુલ મતદારોની સંખ્યા ઘટીને 9,76,885 થઈ છે, જે ગત ચૂંટણીનીમાં 10,75380 હતી. સરેરાશ 98,495 મતદારોનો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ડુપ્લીકેટ મતોના નામ કમી કરવાની ઝુંબેશ અને નવા સીમાંકનમાં કારણે બે બેઠકો ઓછી થવી જેવા ફેરફારો જવાબદાર આવે છે. જાતિવાર આંકડા જોઈએ તો, 2021માં 5,57,444 પુરુષ અને 5,17,936 સ્ત્રી મતદારો હતા, જ્યારે 2026માં પુરુષ મતદારોની સંખ્યા 5,06,287 થઈ છે, જયારે સ્ત્રી મતદારોની સંખ્યામાં ઘટાડો થઈને તે 4,70,597 પર પહોંચી છે, આમ 50,557 પુરુષ અને 47,339 સ્ત્રી મતદારોનો ઘટાડો થયો છે.બે બેઠકોની સંખ્યા ઘટવાની સાથે મતદારોની યાદીમાં થયેલું આ શુદ્ધિકરણ આગામી ચૂંટણીના પરિણામો પર નિર્ણાયક અસર પાડી શકે છે. વર્ષ 2021 vs 2026માં મતદારોમાં થયેલ ફેરફાર
દાનની વર્ષા થઈ:લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનને 80 લાખનું દાન
તાલુકાના દેશલપર ખાતે આવેલા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન-સંસ્કારધામની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતાં હોવાથી, આગામી તા. 25થી 27-4 દરમિયાન ‘ત્રિદશાબ્દિ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવના સુદ્રઢ આયોજન માટે તજેતરમાં કેન્દ્રસ્થાન ખાતે એક અગત્યની સભા યોજાઈ હતી, જેમાં કચ્છભરના લક્ષ્મીનારાયણ મંદિરોના 600 જેટલા પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના મંત્રી કીરીટભાઈ ભગતે સૌને આવકાર્યા હતા. સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ મહોત્સવની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મહોત્સવ દરમિયાન રૂ. 12 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા અને 70 રૂમો તથા ભોજનાલયની અદ્યતન સુવિધા ધરાવતા ‘અતિથિભવન’ નું લોકાર્પણ કરવામાં આવશે. ત્રિદિવસીય મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, વિષ્ણુયાગ અને સંતો-વિદ્વાનોના પ્રેરણાદાયી પ્રવચનોનું પણ આયોજન કરાયું છે. આ સભામાં દાનનો અદભુત મહિમા જોવા મળ્યો હતો. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણાના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી અને કેન્દ્રીય સમાજના મહામંત્રી અશોકભાઈ ભાવાણીએ મહોત્સવને સફળ બનાવવા સૌને તન, મન અને ધનથી જોડાવા હાકલ કરી હતી. સંસ્થાના મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીની દાનની અપીલને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર અડધા કલાકમાં જ ભાવિકો દ્વારા રૂ. 80 લાખના દાનની સરવાણી વહાવવામાં આવી હતી. આ ઉદાર યોગદાન બદલ ઉપપ્રમુખ કૌશલભાઈ લીંબાણીએ દાતાઓનો આભાર માન્યો હતો. જ્યારે કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ જગદીશભાઇ લીંબાણીએ યુવા સંઘ તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સંસ્કાર સંવર્ધન સમિતિના ચેરમેન રતિભાઈ પોકારે સંસ્થાની 30 વર્ષની કામગીરીને આલેખતો ‘સ્મૃતિગ્રંથ’ પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. સભાનું સફળ સંચાલન ઈશ્વરભાઈ ભાવાણીએ કર્યું હતું, જેમાં એસએલવીપીના ચેરમેન પ્રો. કે.વી. પાટીદારનો સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે પૂજાભાઈ શીરવી, ડો. પ્રેમજીભાઈ ગોગારી, નારણભાઈ ચોપડા, પ્રેમજીભાઈ ભાવાણી, ઉપપ્રમુખ મોહનભાઈ ચોપડા, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, શાન્તીલાલ નાકરાણી, બાબુભાઈ ચોપડા અને ખજાનચી ગંગારામ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ કામોને વેગ અપાયો:મમુઆરામાં 8 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
મમુઆરા ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ₹ 8 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનસુખાકારીના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્રિકમભાઈએ આ તકે જણાવ્યું હતું કે, રોડ, શિક્ષણ અને સિંચાઈ જેવી પાયાની સુવિધાઓમાં વધારો કરીને સરકાર નાગરિકોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટીયા, તાલુકા પંચાયત સદસ્ય ધનજી ચાવડા, મમુઆરા સરપંચ ગોકુલભાઈ જાટીયા, મહંત ભગવાનદાદા કાપડી, અને આગેવાનો સર્વે લખમણભાઇ માવજી, જાણીતા ઉદ્યોગપતિ સતીશભાઈ છાંગા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બી.કે.ટી. કંપની તરફથી એ.જી.એમ. સીએસઆર ડી.બી. ઝાલા (નિવૃત્ત ડી.વાય.એસ.પી.), જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, ટીડીઓ દિક્ષિતભાઈ ઠક્કર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. બે વર્ષમાં 27 નવી માધ્ય. શાળાઓ મંજૂરજિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છમાં 27 નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ છે. મમુઆરામાં નવી હાઈસ્કૂલ બનવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને હવે દૂર ભણવા જવાની જરૂર નહીં રહે. ત્રિકમભાઇ છાંગાએ બી.કે.ટી કંપનીના સી.એસ.આર કામોની સરાહના પણ કરી હતી. કયા કયા વિકાસકામો થયા ?
કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ધોળાવીરાની જળસંરચનાઓ દર્શાવતો વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઐતિહાસિક સ્થળની પ્રશંસા કરી હતી. સુધા મૂર્તિના જણાવ્યા મુજબ, ધોળાવીરામાં એવી ચેનલો અને નાળીઓ બનાવવામાં આવી હતી કે જેથી વધારે પડતો વરસાદી પાણી રોકાઈ ન જાય અને યોગ્ય રીતે બહાર નીકળી જાય. આ રચના કારેઝ જેવી પ્રાચીન જળવ્યવસ્થાની જેમ છે. નાળાઓ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે જ નહીં, પરંતુ પાણીના સંગ્રહ, વિતરણ અને શુદ્ધિકરણ માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. વિશેષ વાત એ છે કે, અહીં લગભગ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા હતી અને ત્યાંથી નીકળતો ગંદો પ્રવાહ નદી કે દરિયામાં ભળી પ્રદૂષણ ન ફેલાવે, અને ખાસ બનાવેલા નાળાઓ મારફતે શહેરની બહાર મોકલવામાં આવતો હતો. સાથે જ તેમણે કહ્યું કે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં 5 થી 7 હજાર વર્ષ જૂનું આવું નગર આજે પણ ગૌરવશાળી શહેર અડીખમ છે.
ફરિયાદ:નટવરનગરમાં પતિનો પત્ની ઉપર કાતરથી હુમલો
બગસરા તાલુકાના નટવરનગર વિસ્તારમાં ઘરેલુ ઝગડામાં પતિ દ્વારા પત્ની પર કાતરથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, 29 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે નટવરનગર વિસ્તારમાં કાજલબેન જગદીશ ડાભી (ઉ.વ.30) પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ જગદીશ કાળુભાઈ ડાભી સાથે બોલાચાલી થતાં તેણે અપશબ્દો આપી આજે તો તને મારી નાખવી છે તેવી ધમકી આપી હતી. આ દરમિયાન પતિએ ઘરમાં પડેલી કાતર લઇ કાજલબેન પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાજલબેન ડાભીએ 2 માર્ચના રોજ બગસરા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ જનતા બાગની હાલમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. પંડિત દિન દયાળ ઉપવન બગીચામાં હાલમાં ઘાસ ઝાડીઓ એટલી ઊભી થઈ ગઈ છે કે તેને જંગલ જેવું બનાવી દીધું છે. પાલિકા તંત્ર અને અગાઉના સતાધીશો દ્વારા જાળવણી કરવામાં ન આવતા લોકોં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જનતા બાગમાં બાંકડા ઉપર બેસવાનું તો દૂર પણ ખડના હિસાબે પગ રાખવા માટે પણ જગ્યા મળતી નથી. આ સ્થિતિને કારણે સવારે વોકિંગ, વ્યાયામ અને શાંતિ માટે આવતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના નાગરિકોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે. સાવરકુંડલા શહેરમાં દોડધામ ભરેલા જીવનમાં જનતા બાગ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં લોકો કુદરતી વાતાવરણમાં ફ્રેશ થઈ શકે, ચાલી શકે, બેસી શકે અને મનને શાંતિ આપી શકે. રવિવારે તહેવારોના દીવસેં તેમજ રજાના દિવસોમાં બગીચો નાના મોટા સૌનું પ્રિય સ્થળ બને છે. હવે સફાઈના સંપૂર્ણ અભાવને કારણે આ સુંદર સ્થળમાં હેરાનગતિ પામી રહ્યા છે. જનતાબાગમાં લોકોને અને સિનિયર સીટીઝનો માટે સવારે વોકિંગ માટે ક્યાં ચાલવું તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. બાળકો અને વૃદ્ધો માટે આરામનું સ્થળ ક્યારે પુનઃસ્થાપિત થશે. ? શહેરીજનો દ્વારા સત્તાધીશો પાસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. બગીચાની સાફ-સફાઈ, ઘાસ કાપણી, બાંકડા અને પગથિયાંની સુવિધા પુનઃસ્થાપના તથા નિયમિત જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
આત્મહત્યા:એક આધેડે ઝેર પીધું તો યુવકે ગળાફાંસો ખાધો
વડીયા તાલુકાના તોરી ગામે 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું છે અને સાવરકુંડલામાં 56 વર્ષીય આધેડે દવા પી લેતા મોત થયું છે. તોરી ગામની સીમમાં સવારના સમયે 28 વર્ષીય નિકુંજભાઈ ભીખુભાઈ રાઠોડે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. જે અંગે તેઓના પિતા ભીખુભાઈ નાથાભાઈ રાઠોડે જાણ કરતા વડીયા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સા.કુંડલામાં નૂરાનીનગરમાં રહેતા ઈકબાલભાઈ સૈયદ (ઉ.વ.56) એ બપોરે ત્રણ વાગ્યે કબ્રસ્તાનમાં જઈ કોઈ અગમ્ય કારણો સર દવા પી લેતા મોત થયું છે. આ અંગે તેમના દીકરા ઇમ્તિયાઝભાઇ ઈકબાલભાઈ સૈયદે જાણકારી આપતા સાવરકુંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સહાનૂભૂતિ:ભુરખિયા હનુમાનજી મંદિરે માનવતાનું દ્રશ્ય
લાઠી નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા હનુમાન જન્મોત્સવના મેળામાં આ વર્ષે માનવતાનો સ્પર્શ કરતું દૃશ્ય જોવા મળ્યું હતું. મેંદરડા તાલુકામાં કાર્યરત એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો દાદાના દરબારમાં પહોંચતા હજારો શ્રદ્ધાળુઓમાં કરુણા અને સહાનુભૂતિની લાગણી જગાવી હતી. ભુરખિયા હનુમાજી ખાતે આ મેળામાં આવેલા આ બાળકોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના દર્શન પ્રવેશદ્વાર પાસે સંસ્થાને સ્ટોલ રાખવાની પરવાનગી આપવામાં આવી, જેથી દર્શન કરવા આવતા હજારો ભક્તો આ બાળકોને જોઈ શકે અને પોતાની ક્ષમતા મુજબ સહાય કરી શકે. આ સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી પોતે પણ અતિ ગંભીર પ્રકારના વિકલાંગ છે અને ચોપગા પશુની માફક ચાલે છે. છતાં તેઓ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકોની સેવા, સંભાળ અને લાલન-પાલન માટે સતત પ્રયત્નશીલ રહે છે. મેંદરડા નજીકના સમઠીયાળા ગામથી આવેલા આ બાળકોને જોઈ ઘણા ભક્તોમાં કુતૂહલ સાથે કરુણાનો ભાવ જાગ્યો હતો. ઈશ્વરની અનોખી રચનાને નિહાળી અનેક લોકો અંતરથી પ્રેરાઈ સહાય માટે આગળ આવ્યા હતા. આ પ્રસંગે ઘણા શ્રદ્ધાળુઓએ કહ્યું કે આવી સેવા જોઈને ઈશ્વરની હાજરી દરેક જગ્યા પર હોવાનો અનુભવ થાય છે. ત્યારે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે ભુરખિયા હનુમાનજીના દરબારમાં માત્ર ધાર્મિક ભાવનાનો જ નહીં પરંતુ માનવતા, સેવા અને કરુણાનો પણ સંદેશ પ્રસરી ગયો હતો.
રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન નાવલી નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા પાલા ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. કોર્ટના નિર્ણય બાદ પ્રશાસન દ્વારા અપાયેલી બીજી નોટિસથી હજારો પરિવારોના ચૂલા ઓલવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીના વિસ્તારમાં સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અત્યારે ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ આવકાર્ય છે પરંતુ જે વિસ્તારમાં તેનું આયોજન થઈ રહ્યું છે, તેનાથી સ્થાનિક અર્થતંત્ર અને સેંકડો પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ પાલા હટાવવાથી અનેક પરિવારો રોજગારી વિહોણા થશે. જે તેમને શહેર છોડી અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર કરશે. સાવરકુંડલાના બુદ્ધિજીવીઓના મતે રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીનો વિસ્તાર રિવરફ્રન્ટ કરતાં કોમર્શિયલ હેતુ માટે વધુ પ્રસ્તુત છે. સાવરકુંડલા એક મર્યાદાશીલ અને પરંપરાગત મૂલ્યો ધરાવતું શહેર છે. સતત ચહલપહલ વાળા વ્યાપારી વિસ્તારમાં રિવરફ્રન્ટનો મૂળ હેતુ સિદ્ધ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. જાણકારોનું સૂચન છે કે તંત્રએ ફરીથી ફિઝિબિલિટી રિપોર્ટ કરાવી, રિવરફ્રન્ટના વિસ્તારને શહેરના ઉપલે કાંઠે વિસ્તરિત કરવા અંગે માંગણી કરી છે. જેના કારણે મુખ્ય વ્યાપારી કેન્દ્રને નુકસાન ન પહોંચે. સાવરકુંડલામાં રાજવી કાળમાં નેક નામદાર મહારાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાના રોટલા અને ઓટલાની રક્ષા માટે આ પાલા ધારકોને મંજૂરી આપી હતી. અમુક ધારક પાસે મહારાજા દ્વારા અપાયેલ તાંબા પત્ર જેવા દસ્તાવેજો પણ હોવાનું મનાય છે. ભૂતકાળમાં સ્વ. નવીનચંદ્ર રવાણી જેવા નેતાઓએ જેમના હિતોનું રક્ષણ કર્યું હતું. આ સંદર્ભે સાવરકુંડલામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાલા ધારકોએ જ્ઞાતિ અને સમાજના અગ્રણીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. સર્વાનુમતે તંત્રને જાહેર અપીલ કરવામાં આવી હતી કે શહેરની શોભા વધે તેની સામે વાંધો નથી, પરંતુ તે કોઈના મોઢાનો કોળિયો છીનવીને ન થવું જોઈએ. પાલા ધારકો છેલ્લા ત્રણ કે ચાર પેઢીથી અહીં વ્યવસાય કરીને પેટિયું રળે છે. ટાઢ, આકરો તડકો, ચોમાસા દરમિયાન નદીના પાણીના ભય સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
શિક્ષણ:આજથી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ: EWS કેટેગરીનો પણ સમાવેશ કરાયો
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યા્ર્થીઓને ધોરણ 1માં આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ માટેની પ્રક્રિયાનો 4 એપ્રિલ શનિવારથી પ્રારંભ થશે લાયકાત ધરાવનારા https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી 14મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. પ્રવેશમાં અમદાવાદ સહિતની રાજ્યની સ્કૂલોમાં આરટીઈ હેઠળની 25 ટકા પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓ જે તે સ્કૂલમં સવારની અને બપોરની એમ બે પૈકીની એક અનુકુળ શિફ્ટ પસંદ કરી શકશે. શિક્ષણ નિયામક દ્વારા 2025-2026ના વર્ષ માટે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોના વાલીઓને માટે વાર્ષિક આવકની મર્યાદા 6 લાખની કરાઈ હતી. અગાઉના વર્ષોમાં ધોરણ 1 માટે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા હતી. આંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક 9થી 11માં કરાતા રિઝર્વ કેટેગરીને અગ્રતા મળશેઆંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક બદલવામાં આવતા રિઝર્વ કેટેગરીના વાલીઓ-બાળકોને પ્રવેશમાં પ્રાધાન્ય મળશે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. 13 કેટેગરીમાં અગ્રતાક્રમ મુજબ પ્રવેશ અપાશેકુલ 13 કેટેગરી નક્કી કરાઈ છે. જેમાં અનાથ બાળકો, બાળ મજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો, બીપીએલ કાર્ડ ધારકોને અગ્રતાક્રમ બાદ એસસી, એસટી તેમજ ઈડબલ્યુએસ સહિતના વર્ગના બાળકોનો સમાવેશ. 25% મુજબ કુલ 9709 શાળામાં 84228 બેઠકો માધ્યમ સંખ્યા ગુજરાતી 41411 અંગ્રેજી 40262 હિન્દી 2235 અન્ય માધ્યમ 320 કુલ શાળાઓ 9709 વાલી, વિદ્યાર્થીના આ પુરાવા રજૂ કરવા જરૂરીઉંમર : પહેલી જૂન,2026ના રોજ બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ, રહેઠાણનો પૂરાવો. , વાલીનું જાતિનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર , પાસપોર્ટ સાઈઝના કલર ફોટો, વાલીનું આવકનું પ્રમાણપત્ર ,બીપીએલ-બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધારકાર્ડ
ચપ્પુથી હુમલો:રાજપીપળા બજારમાં લારી મૂકવાના મામલે લારીધારક પર ચપ્પુથી હુમલો
રાજપીપળા શાકમાર્કેટમાં ફ્રૂટની લારી મુકવા બાબતે બે વેપારીઓ વચ્ચે મારમારી થઇ હતી. આ મારામારીમાં બે વેપારીઓએ એક સંપ થઇને અન્ય વેપારી પર ચપ્પુથી હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી. રાજપીપળાના નવાફળીયા મોતીબાગમાં રહેતા અમિત માછીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શાકમાર્કેટમાં એક જ જગ્યાએ પોતે અને નિતેશ માછી વારાફરતી ફ્રૂટની લારી ઉભી રાખતા હતાં. નિતેશ માછીનો વારો પૂર્ણ થતાં અમિત પોતાની લારી ઉભી રાખવા માટે સફાઇ કરી રહયો હતો. આ સમયે ત્યાં હાજર નિતેશે તું સફાઈ કેમ કરે છે તેમ કહ્યું ત્યારે અમિત માછી એ કહ્યું કે મારો વારો આવે એટલે જે તે લારી મુકવાની જગ્યા હું સાફ સફાઈ કરું છું તું જાણે છે. નિતેશ માછી એકદમ ઉશ્કેરાઈ જઈને અમિતની ફેટ પકડી છાતીના ભાગે એક મુક્કો મારી નીચે પડી દીધો હતો. આમ બંને વચ્ચે ઝગડો થતા એટલામાં સામે થી હસમુખ માછી છરો લઈને દોડી આવી અમિતને છરો માથામાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિતેશ અને હસમુખ બંને અમિતને માર માર્યો હતો. બનાવ અંગે અમિતે નિતેશ અને હસમુખ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
નજીવી બાબતે હત્યા:કોયારી ગામે 10 રૂપિયા વાપરવા નહીં અપાતાં ગળું દબાવી હત્યા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામે એક નજીવી બાબતે રોષે ભરાયેલ વ્યક્તિએ બીજાની હત્યા કરી નાખી કારણ હતું, એકે 10 રૂપિયા વાપરવા માગ્યા હતા. બીજા એ ના પાડતા હત્યા ની ઘટના બની તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર ના કોયારી ગામના મૂળ વતની અને હાલ ભાદરવા ટેકરા ફળિયામાં રહેતા 41 વર્ષીય રાજેશભાઈ ધનજીભાઈ તડવી સવારે ભાદરવા સ્ટેન્ડ બાજુથી કરીયાણ લઇ ભાદરવા ગામ તરફ આવતા હોય આ સમયે ગામમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ઘમો ગણપત તડવી જે પણ ગામ બાજુ આવતો હોય ગામના ઝાપા પાસે ધર્મેન્દ્ર એ રાજેશભાઈ સાથે ભેગા થઇ જતા રાજેશ પાસેથી ધર્મેન્દ્ર એ વાપરવા માટે રૂપિયા 10 માંગતા રાજેશભાઈ એ આપવાની ના પાડી હતી જેથી ધર્મેન્દ્ર રોસે ભરાઈ ને રાજેશને આર.સી.સી.રોડ પ૨ પાડી દઈ છાતી અને ગળાના ભાગે લાતો મારી ગળાના ભાગે પગ મુકી ગળુ દબાવી દઈ મોત નિપજાવ્યું હતું. જે બાબત ની સ્થાનિકોએ પરિવાર ને જાણ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ધર્મેન્દ્ર ભાગી ગયો હતો તિલકવાડા પી.આઈ એ.પી.સોલંકી તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ધર્મેન્દ્ર ગણપત તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોર્ટનો ચુકાદો:રાણીપુરામાં પત્નીને સળિયાના ઘા ઝીંકનાર પતિને આજીવન કેદ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુરા ગામે વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેસન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિ રામસિંહ પોહ્લ્યા પાડવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામસિંહ પાડવી અને તેની પત્ની અરૂણાબેન વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. 5 જાન્યુઆરી 2024ની રાત્રે પરિવાર જમી પરવારીને ઘરના આંગણે સૂતો હતો. મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે રામસિંહ અચાનક જાગ્યો હતો અને ઊંઘી રહેલી પત્ની પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થતાં અરૂણાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસ નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આકરો ચુકાદો આપ્યો છે. સમાજમાં દાખલો બેસે તે રીતે પત્નીના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. કેસમાં સરકારી વકીલ વંદના ભટ્ટે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. તેમણે રજૂ કરેલા મેડિકલ રિપોર્ટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનોના આધારે પુરવાર થયું હતું કે, આરોપી રામસિંહ પોહ્લ્યાભાઈ પાડવીએ 5 જાન્યુઆરી 2024ની રાત્રે પૂર્વઆયોજિત કાવતરા મુજબ ઊંઘી રહેલી પત્નીના માથામાં લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી.
ગઠિયાઓએ કરી હાથસફાઈ:દેડિયાપાડામાં વેપારીની ચેઇન બે વીંટી લઇને બે ગઠિયા ફરાર
દેડિયાપાડામાં ઘડિયાળની દુકાનમાં ઘુસેલા ગઠિયાઓ દુકાનદારની નજર ચુકવીને એક સોનાની ચેઇન અને બે વીટી લઇને ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. દેડીયાપાડા પટેલ ચાલીમાં રહેતા અને યાહામોગી ચોક પાસે શ્રીજી વોચ નામની ઘડિયાળની દુકાન ચલાવતા હસમુખ પટેલ પાસે બે ગઠિયાઓ ઘડિયાળ ખરીદવાના બહાને મળ્યાં હતાં. બે તારીખે સવારે 11 કલાક ના સમયે દુકાન પર હતા ત્યારે બે અજાણ્યા ઈસમો દુકાનમાં આવી ને નીલકટર માંગવા લાગ્યા. પછી વાત વાતમાં વેપારીને વિશ્વાસમાં લઈ ને તેમણે પહેરેલી ત્રણ તોલાની ચેન અને બે અડધા તોલાની બે વીટીઓ તેમની પાસેથી શરીર પરથી ઉતારાવી દીધી હતી. વેપારીની નજર ચૂકવીને બંને ગઠિયાઓ ચેઇન અને વીટી લઇને ફરાર થઇ ગયાં હતાં. જેની કિમંત 2.38 લાખ રૂપિયા થવા જાય છે. વેપારીએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ટોળકીની મોડસ ઓપરેન્ડી શું હોય છે ? વેપારીઓ અને ખાસ કરીને જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કે છેતરપિંડી કરવા માટે ગઠિયાઓ ખૂબ જ હોશિયારીથી પ્લાનિંગ કરતા હોય છે. ગઠિયાઓ ઘણીવાર જૂથમાં આવે છે અને એકસાથે અલગ-અલગ દાગીના કે વસ્તુઓ જોવાની માંગ કરે છે. વેપારી જ્યારે એક ગ્રાહકને સંભાળવામાં વ્યસ્ત હોય, ત્યારે ટોળકીનો બીજો સભ્ય નજર ચૂકવીને દાગીના ખિસ્સામાં સરીકાવી લે છે.
TP સ્કીમ રદ કરવા આયોગને રજૂઆત:દાનહમાં TP સ્કીમથી આદિવાસીઓની જમીન- ધાર્મિક સ્થળોને જોખમ વધશે
સેલવાસના આમલી-બાવીસા ફળીયા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને ઓઆઈડીસી વેલુગામ યોજના રદ કરવાની માંગ સાથે પીડિત આદિવાસી પરિવારોએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રભુ ટોકીયાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે આ ગંભીર મુદ્દે રજૂઆત કરી હતી.બેઠક દરમિયાન પ્રભુ ટોકીયા અને અન્ય આગેવાનોએ આ યોજનાઓથી આદિવાસી સમુદાય પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત ભૂમિ અધિગ્રહણને કારણે સ્થાનિક આદિવાસીઓની પરંપરાગત જમીન, ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને આજીવિકા જોખમમાં મુકાઈ શકે તેમ છે. આદિવાસી અસ્તિત્વની સુરક્ષા માટે આ યોજનાઓને તાત્કાલિક અસરથી રદ કરવા ભાર પૂર્વક માંગ કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે આયોગના અધ્યક્ષને વિનંતી કરી કે તેઓ દાનહની મુલાકાત લઈ આદિવાસીઓની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે. આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્યએ મામલાની ગંભીરતા સમજીને આ વિષયમાં યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાતમાં આદિવાસી એકતા પરિષદના ગજાનન બ્રાહ્મણે, વિજય પટેલ, ચેતન પટેલ, અશોક પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના સદનમાં પ્રશ્ન ઉઠાવ્યો:દાનહમાં વિકાસ કાર્યોની સાથે પારદર્શીતા અંગે ટકોર
દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોક સભાના સદનમાં આવજ ઉઠાવતા જાનહમાં અગાઉથી ચાલી રહેલ સ્માર્ટ સીટી પરિયોજનાના અધૂરા કાર્યોને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ નવી યોજનાને લાગુ કરવા જણાવ્યું હતું સાથે જ તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમને લઇ પ્રદેશના ખેડૂતો,જમીન માલિકો અને સ્થાનિક નિવાસીઓમા ભારે અસંતોષ હોય તેને રદ કરવા જણાવ્યું હતું. સ્માર્ટ સીટી પરિયોજનાઓ અંતર્ગત કેટલાક વિકાસના કામો શરુ કરવામાં આવેલા પરંતુ એમાથી કેટલાક કાર્ય હાલમાં પણ અધૂરા છે.જેનાથી જનતાને અપેક્ષિત સુવિધાઓ નથી મળી રહી. એમણે એ પણ કહ્યુ કે, જ્યા સુધી પહેલા શરુ કરવામાં આવેલા કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી યોજનાઓ શરુ કરવું યોગ્ય નથી કારણકે, એનાથી સરકારી સંસાધનો પર વધુ પડતો ભાર પડે છે અને વિકાસ કાર્ય અધૂરા રહી જાય છે. સ્માર્ટ સીટી યોજનાનો ઉદેશ્ય શહેરમાં આધુનિક સુવિધાઓ, સારા રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, પાર્ક, બજાર, ડીજીટલ સેવાઓ અને સારી શહેરી વ્યવસ્થાપન ઉપલબ્ધ કરાવવાની છે.પરંતુ કેટલીક યોજનાઓ હજી પણ અધૂરી જ છે. જેથી એમણે સરકારને આગ્રહ કર્યો છે કે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત જે પણ કાર્ય શરુ કરવામાં આવેલા એને સમય પર પૂર્ણ કરવામાં આવે જેથી જનતાને એનો સીધો લાભ મળી શકે અને પ્રદેશનો વાસ્તવિક વિકાસ થઇ શકે. આવનાર સમયમાં એ પણ જોવુ મહત્વપૂર્ણ છે કે પ્રશાસન ટાઉન પ્લાનિંગ સ્કીમ પર શુ નિર્ણય લે છે અને સ્માર્ટ સીટી યોજનાઓના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે કયા પગલા ઉઠાવવામાં આવે છે.
નદીમાં ડ્રેજિંગ કરાવવા સાંસદને લેખિત આવેદન:વલસાડના ભદેલીમાં જમીન ધોવાણ અંગે ગ્રામજનોમાં રોષ
વલસાડના ભદેલીજગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી ગામે ચોમાસામાં ભરતીના કારણે જમીનના થતાં ધોવાણ મુદ્દે ગામના અગ્રણીઓ દ્વારા સાંસદ ધવલ પટેલને આવેદન આપ્યું હતું.આ વિસ્તારમાં ચોમાસામાં નદીની રેલ અને ભરતીના કારણે આ પ્રશ્ન ઉકેલવા માગ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી વિસ્તારમાં ખેતીવાળી જમીનમાં નદી કિનારેથી ચોમાસાના દિવસોમાં થતું ધોવાણની સમસ્યા સર્જાઇ રહી છે.જેના કારણે ખેતી કરતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ગ્રામજનોએ સાંસદ ધવલ પટેલના કાર્યાલય ખાતે જઇને આવેદન આપી રજૂઆત કરી હતી.ગત વર્ષે પૂરના કારણે સાંસદે આ ગામમાં મૂલાકાત લીધી હતી તે બાબતે ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.આ સાથે તેમણે આવેદનમાં જણાવ્યા મુજબ આ ગામના છેવાડે જમીન પાસેથી નદીની રેલ અને દરિયાની ભરતીના કારણે ચોમાસા દરમિયાન ધોવાણનો પ્રશ્ન વર્ષો જૂનો છે .કિનારે ગામ હોવાથી નાના ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે તેવી રજૂઆતો કરી નદીને ઉંડી કરવાની માગ કરી હતી.આ ધોવાણથી ખેતી નહિ થતાં નાના સિમાંત ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતાં સાંસદ દ્વારા નદી ઉંડી જો કરાવવામાં આવે તો ચોમાસામાં પ્રવાહ દરિયા સુધી સરળતાથી થઇ શકે તેમ હોય આ કામગીરી માટે સાંસદ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.સાંસદ ધવલ પટેલે રહીશોની રજૂઆતો સાંભળી હૈયાધરપત આપી હતી.
મહિનાની વાતચીત:આરોગ્ય સેવા સાથે જોડાયેલી દષ્ટિ- વ્યક્તિગત મુદ્દા પર સુપ્રિન્ટેન્ડન્ટનો ઇન્ટરવ્યુ
ભાવનગર જિલ્લાના બોટાદ (હાલે બોટાદ જિલ્લો)ના વતની વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ ડો. ભાવેશ ગોયાણી સિવિલમાં આવતાં હજારો દર્દીને દૈનિક સારવાર પૂરી પાડવાનું ટીમ-નેટવર્ક પોતાની વહીવટી કુશળતાથી સંભાળી રહ્યા છે. એસએસસી બાદ સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લઇ તબીબી સેવાની મંઝિલ સર કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા ગયાં હતા.સર્વિસ બેઝ ધરાવતાં કુટુંબમાંથી આવતાં ડો.ભાવેશ ગોયાણી આરોગ્ય વિભાગ, સરકારી નિયમો અને નીતિને અનુસરી દર્દીઓની સેવા કરવા પ્રેરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં નિમણૂંક પામી દર્દીઓની સેવાની ભાવના સાથે સફળતાથી આગળ ધપી યુથ માટે પરિશ્રમથી સફળતા પામવાનો પ્રેરણા સ્ત્રોત બન્યા છે. વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના પ્રોફેસર અને સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ ડો.ગોયાણી સાથે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ તેમની કારકિર્દીનું લક્ષ્ય, જીવનયાત્રા,દર્દીઓની મેડિકલ ટ્રીટમેન્ટનું મોનિટરિંગ, જીવનનો પ્રેરણા સ્ત્રોત,કૌટુંબિક જવાબદારી સહિત મુદ્દે રસપ્રદ પ્રશ્નોત્તરીના અંદાજે વાતચીત કરી જે માનવંતા વાચકો માટે અત્રે પસ્તુત છે. Q. જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક કોને માનો છો?A. માતા પિતાના સંસ્કારો અને બિમારીઓથી પિડાતા દર્દીઓની સારવારનો ખર્ચ વધી જતાં તેમની મજબૂરી નિહાળી હતી જે સરકારી મશીનરીમાં જોડાઇ મેડિકલ ક્ષેત્રે નોકરી મેળવી દર્દીઓની સેવા કરવાનો વિચાર સ્ફૂર્યો તે ક્ષણ જીવનનો મહત્વનો વળાંક હતો.વિદ્યાર્થી જીવનના ધો.12 પછી દર્દીઓની મેડિકલ સેવા માટેની ભાવના સરકારની આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાવાની જીવન યાત્રાનો ભાગ બની. Q. મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ બન્યા તો, શૈક્ષણિક સફર કેવો રહ્યો?A. 1995માં ધો.12માં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરી ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસ બનવાનો નિર્ણય કર્યો હતો.જેમાં સફળ થતાં મેરિટ બેઝ પર સરકારી સિવિલ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદમાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. સતત મહેનત અને ધગશથી એમબીબીએસ પાસ કર્યુ અને તેમાં પણ મેરિટ પર પ્રવેશ મેળવી એમડી રેડિયોલોજિસ્ટ અમદાવાદની કોલેજમાં કર્યું. બાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં શૈક્ષણિક ક્ષેત્રે ઝંપલાવવા પ્રોફેસરની ઉપાધિ મળી.પ્રથમ સુરતમાં આસિ.પ્રોફેસર અને બાદમાં એસોસિએટ પ્રોફેસરની પદવી મળી.જેમાં જીવનના 14 વર્ષનો સંઘર્ષ હતો. આ લક્ષ્ય પણ મેરિટ બેઝ પર પાર પાડી ઉચ્ચ પદવીની સિધ્ધિ પ્રાપ્ત થઇ. Q. સિવિલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આવતાં હજારો દર્દીની સારવારનો શક્તિ સ્ત્રોત શું છે?A. સુરતની સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી અને તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી ત્યારે વલસાડ ખાતે 400 તબીબી સ્ટુડન્ટની ક્ષમતા ધરાવતી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફરજ બજાવવા નિમણૂંક મળી. તબીબી વિદ્યાર્થીઓને ભણાવવા સહિતની જવાબદારી માટે 2012થી વલસાડમાં સિવિલ અને મેડિકલ કોલેજની વિશાળ હોસ્પિટલના મોટા કાફલા સાથે 11 વર્ષથી ફરજ બજાવવાનો આત્મવિશ્વાસ અને શક્તિનો મુખ્ય સ્ત્રોત દર્દીઓની સારવાર માટેની સંવેદનશીલતાનો છે.
ભાસ્કર એક્સક્લુસિવ:દ. ગુ.ના 1 હજારથી વધુ માછીમારો ઇરાનથી અરમાનિયા રવાના, બે દિ’માં વતન આવી શકે
અમેરિકા,ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધના કારણે ભારત અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના શિપિંગ કંપનીઓમાં નોકરી કરતાં શિપમેન્સ, ફિશરમેન તથા અન્ય ભારતીય કામદારો મળી 1 હજાર લોકો યુધ્ધના કારણે ફસાઇ ગયા છે.તેઓ ઇરાનથી ભારત આવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વર્કરોએ શુક્રવારે સોશ્યિલ નેટવર્ક પર એક વીડિયો પોસ્ટ કરી ઇરાનથી વહેલી તકે ઇન્ડિયા પહોંચાડવાની વિનંતિ કરી છે.ખુબ જ કપરી પરિસ્થિતિમાં મૂકાઇ ગયેલા આ ગુજરાતી કામદારો જલદીથી પોતાના વતનની ધરતી પર આવવા તલપાપડ બન્યા છે. ઇરાન પર અમેરિકા ઇઝરાયેલે બોમ્બમારો ચાલૂ જ રાખતાં યુધ્ધ ગંભીર બની રહ્યું છે.ઇરાને પણ જબરદસ્થ બોમ્બમારો કરી અમેરિકાને જવાબ આપતાં યુધ્ધ વધુ ઉગ્ર બનવા તરફ જઇ રહ્યું છે.ત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો,શિપિંગ કંપનીઓમાં નોકરી કરતા સીમેન્સ સહિત ગુજરાતી ફિશરમેનો ભયજનક સ્થિતિમાં મૂકાયા છે. અમેરિકા ઇઝરાયેલના હુમલાથી હચમચી ગયેલા આ ગુજરાતી કામદારો ભારત આવવા પ્રયત્નો હાથ ધર્યા છે.યુધ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં જીવન જીવવાની કઠિન સ્થિતિ અસહ્ય બની છે. ચાલૂ બસમાં કામદારે વીડિયો થકી મેસેજ મોકલાવ્યો ગુજરાતના ફિશરમેન્સ,ઇન્ડિયન કામદારોનો જથ્થો બસ પકડીને ઇરાનના અરમાનિયા તરફ જવા નિકળ્યાો છે.યુધ્ધના હુમલાઓના સતત ભય વચ્ચે આ ગુજરાતીઓએ ચાલૂ બસમાં સવાર થઇ એક વીડિયો સોશ્યિલ નેટવર્કમાં પોસ્ટ કર્યો છે,જેમાં ગુજરાતી ભાષામાં તેમણે ભારત સરકારને ઉદ્દેશી સંદેશો જારી કર્યો છે અને જેમ બને તેમ તે તમામને ઇન્ડિયન ગર્વન્મેન્ટ ઇરાનથી ભારત પહોંચડવા અપીલ કરી છે. જલ્દીથી વતન પહોંચાડો: માછીમારો અમો ઇન્ડિયન્સ, શિપમેન્સ, ફ િશરમેન્સ સહિત 1000થી વધુ લોકો ઇરાનથી અરમાનિયા ખાતે જવા નિકળ્યા છે.હાલે અરમાનિયા બોર્ડર ક્રોસ કરી ગયા છે. બે દિવસમાં અરમાનિયા પહોંચી જઇશું. સરકારને રિક્વેસ્ટ છે કે જલદીથી ઇરાનથી ઇન્ડિયા પહોંચાડે તેવી આશા રાખીએ છીએ.અમને રાહત આપે. જિલ્લાના દાંડીદાંતીનાઅંદાજિત 150 ફિશરમેન છેવલસાડ જિલ્લાના દાંડી દાંતી કકવાડી વિસ્તારમાંથીઇરાન ગયેલા ફિશરમેનો અંદાજિત દોઢસો જેટલીછે,જેમના પરિવારોએ દાંતીના અગ્રણી ભાજપ હોદ્દેદારઅમ્રતભાઇ ટંડેલનો સંપર્ક કર્યો હતો. તેમણે નામસરનામા પરિવારો પાસેથી લઇ સાંસદ ધવલ પટેલનેભારત સરકાર દ્વારા વહેલી તક વતન પરત લાવવાઅંગે રજૂઆત પણ કરી હતી. જો કે હાલ જે વીડિયોજારી કરાયો તેની જાણ નથી.> ગીરીશ ટંડેલ, કોસંબા
વિતરણ:પારનેરાના અધ્યાપકે આંગણવાડીના બાળકોને બિસ્કિટનું વિતરણ કર્યું
સફળતાનું શિખર ગમે તેટલું મોટું હોઈ, પણ મૂળ તો વતન ની માટી મા જ હોઈ ‘વતનનું વહાલ’ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ વ્યક્તિને પોતાની માટી સાથે જોડી રાખે છે. પારનેરા ના સેવાભાવી અધ્યાપક હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પોતાના વતનની આંગણવાડીની મુલાકાત લીધી હતી. ભાવી ભારતના ઘડવૈયાઓ સાથે સંવાદ મુલાકાત દરમિયાન તેઓએ આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો. તેમણે બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને રમત-ગમત દ્વારા તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આંગણવાડીના આ બાળકો જ ‘ભાવી ભારત’ના સાચા ઘડવૈયા છે. મુલાકાતના સ્મરણરૂપે અને બાળકો પ્રત્યેના સ્નેહભાવથી, અધ્યાપક દ્વારા તમામ બાળકોને ગ્લુકોઝ બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોના ચહેરા પરની નિર્દોષ સ્મિત જોઈને ત્યાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પણ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. આપણે આપણા વતનના બાળકોના શિક્ષણ અને પોષણ માટે થોડો પણ ફાળો આપી શકીએ, તો તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા તેમણે સમાજને સંદેશ આપ્યો છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના વતન અને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30માંથી 18 ગેટનું રિપેરિંગ કરવામાં આવશે. આ માટે 15 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે. સાથે સાથે સુભાષબ્રિજના જૂના સ્પાન તોડી નવા સ્પાન માટે જરૂરી કામગીરી શરૂ કરાશે. 60 દિવસના સમયમાં મહત્તમ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. મ્યુનિ. દ્વારા 90 લાખથી 1 કરોડ લીટર જેટલા પાણીનો જથ્થો આગળ છોડી દેવાશે. અગાઉ જે રીતે નદી ખાલી કરતાં તેમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું તે પ્રકારનું સફાઇ અભિયાન આ વખતે થવાની શક્યતા દેખાતી નથી. 15 એપ્રિલથી ગેટ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે કામગીરી 60 દિવસમાં પુર્ણ કરવી પડશે. કેમકે 15મી જુનથી ચોમાસુ શરૂ થઇ જાય તેમ કહી શકાય. નદી ખાલી થતાં આસપાસના 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોએ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડશે. આ રીતે ગેટ રિપેર કરાશેક્રેન દ્વારા ગેટને હીંજ પરથી કાઢવામાં આવશે. સાઇટ પર જ ગેટમાં કોઇ ક્ષતિ હોય તો તેને રીપેર કરવામાં આવશે. ગેટનું અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ થશે. પ્લેટ અને રિબ્સને રિપેરિંગ કરાશે. પાણી લીકેજ અટકાવવા સાઇડ સીલ અને બોટમ સીલને બદલાશે. ગેટ પર એન્ટિ કોરોશન કોટિંગ કરાશે. ગેટને રિઇન્સ્ટોલ કરીને તેનું ટેસ્ટિંગ કરાશે.
કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં થયેલા રૂ.220ના તોતિંગ વધારાએ ગુજરાતના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગની કમર તોડી નાખી છે. ખાસ કરીને અમદાવાદમાં ગેસ બોટલ પર આધારિત નાની અને મધ્યમ રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, વધેલા ખર્ચને પહોંચી વળવા માટે ચાની કિંમતમાં રૂ.2 થી રૂ.5 અને થાળી કે પંજાબી ડિશમાં રૂ.20થી રૂ.50 સુધીનો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મોટી હોટલો જ્યાં પાઇપલાઇન (PNG) સુવિધા છે ત્યાં ભાવ યથાવત હોવાથી નાના વેપારીઓ માટે અસમાન સ્પર્ધા ઊભી થઈ છે. મંદીના માહોલમાં ભાડું, સ્ટાફનો પગાર અને હવે મોંઘા ગેસને કારણે વેપારીઓ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કેટલીક હોટેલ-રેસ્ટોરાંના સંચાલકોનું કહેવું છે કે, કાચો માલો શાકભાજી, તેલ અને અન્ય મસાલાના ભાવ વધવાના કારણે મેનુ રિવાઈઝ કરવું અનિવાર્ય બન્યું છે. તેમજ ભાડું અને મજૂરોની અછતના કારણે વધેલા પગાર ખર્ચને સરભર કરવા ભાવ વધારો જરૂરી બન્યો છે. પાઈપલાઈન ગેસ ધરાવતી હોટેલોએ વધારો કર્યો નથીહોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ હાલ મંદીમાં ચાલી રહ્યો છે, તેથી ભાવ વધારો કરવો પોસાય તેમ નથી. છતાં ગેસ બોટલનો ઉપયોગ કરતા વ્યવસાયકારો માટે ખર્ચ વધવાથી અમુક વસ્તુઓમાં 5થી 10 ટકા વધારો કરવો મજબૂરી બની છે. જ્યારે પાઇપલાઇન ગેસ ધરાવતા હોટલોમાં આ વધારો લાગુ પડતો નથી. - નરેન્દ્ર સોમાણી, પ્રમુખ, ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન
મેમાં અમદાવાદથી દિલ્હી, વારાણસી, પટના, હરિદ્વાર જતી ટ્રેનો અત્યારથી જ હાઉસફુલ છે. અનેક ટ્રેનોમાં બુકિંગ સમયે ‘રિગ્રેટ’ બતાવી રહ્યું છે. રેલવેમાં કન્ફર્મ ટિકિટ ન મળતા મુસાફરો ફ્લાઇટ તરફ વળ્યા છે, જેના કારણે દિલ્હી સહિતનાં શહેરોમાં વિમાન ભાડાં સામાન્ય કરતાં બે ગણા સુધી વધી ગયા છે. મેમાં હરિદ્વાર જતી ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં વેઈટિંગ લિસ્ટ 241 સુધી પહોંચી ગયું છે. બરૌની અને પુરી જતી ટ્રેનોની તમામ શ્રેણીમાં ‘રિગ્રેટ’ મેસેજ આવી રહ્યો છે, એટલે કે હવે ત્યાં વેટિંગ ટિકિટ પણ ઉપલબ્ધ નથી. ઉત્તર ભારત તરફ જતી 16થી વધુ ટ્રેનોમાં સરેરાશ વેઈટિંગ 100થી ઉપર ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં હોલિડે સ્પેશિયલની જાહેરાતઅધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વધુ હોલિડે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ રૂટ પર અચાનક મુસાફરોની સંખ્યા વધી જશે, તો ‘ટ્રેન ઓન ડિમાંડ’ મુજબ તાત્કાલિક અસરથી તે જ દિવસે ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. ‘વિકલ્પ’ સ્કીમનો ઉપયોગ કરો : ટિકિટ બુક કરતી વખતે આ ઓપ્શન પસંદ કરો. જો તમારી ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ નહીં થાય, તો તે જ રૂટની બીજી ટ્રેનમાં ખાલી બર્થ હશે તો સીટ મળી શકે છે. ચાર્ટ તૈયાર થયા બાદ સ્ટેટસ ચેક કરો : પ્રથમ ચાર્ટ બન્યા પછી ક્વોટાની ખાલી બેઠકો સામાન્ય મુસાફરો માટે ખોલવામાં આવે છે. IRCTC એપ પર ‘ચાર્ટ વેકેન્સી’માં જઈને ખાલી બર્થ જોઈ શકાય છે. કનેક્ટિંગ ટ્રેન: જો સીધી ટ્રેનમાં ટિકિટ ન મળે તો રતલામ, કોટા કે મથુરા સુધીની ટિકિટ લઈ આગળની કનેક્ટિંગ ટ્રેનનો વિકલ્પ તપાસવો. અમદાવાદથી વિવિધ શહેરો માટે વેઇટિંગ શહેર સ્લીપર થર્ડ એસી સેકન્ડ એસી ટ્રેન દિલ્હી 100 111 29 16 વારાણસી 95 62 26 17 પટના 95 62 25 9 બરૌની રિગ્રેટ રિગ્રેટ રિગ્રેટ 4 મુજફ્ફરપુર 100 62 29 3 પુરી 115 69 રિગ્રેટ 6 હરિદ્વાર 241 139 122 2 વિવિધ શહેરો માટે વધેલાં ફ્લાઇટ ભાડાં શહેર રેગ્યુલર ભાડું વધેલું ભાડું દિલ્હી 4 હજાર-5 હજાર 10 હજાર-12 હજાર લખનઉ 5 હજાર-6 હજાર 8 હજાર-10 હજાર વારાણસી 5 હજાર-6 હજાર 7 હજાર-8 હજાર
સરકાર જાગી:અસલી કે એનાલોગ પનીરનું બોર્ડ હોટેલ-રેસ્ટોરાંએ લગાવવું પડશે
રાજ્યમાં પામોલીન ઓઈલમાંથી બનતા ‘એનાલોગ પનીર’ના વધતા વ્યાપ સામે સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યો છે કે હવેથી દરેક હોટેલ-રેસ્ટોરાંમાં પીરસાતું પનીર અસલી છે કે એનાલોગ, તેનું સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિપુલ રાણાના જણાવ્યા મુજબ, ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ માહિતી છુપાવનાર એકમોને રૂ.2 લાખ સુધીનો દંડ થઈ શકે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ.1.80 કરોડની કિંમતનું 45 હજાર કિલો નકલી પનીર ઝડપાયું છે, જેમાં અમદાવાદના માધુપુરા અને ઓઢવ મુખ્ય કેન્દ્રો બન્યા છે. સસ્તું હોવાથી તેનો ઉપયોગ વધ્યો છે, પરંતુ ગ્રાહકોને તેની જાણકારી આપવી હવે કાયદેસર રીતે અનિવાર્ય છે. નકલી પનીરથી બ્લડ પ્રેશર સહિતની બીમારીનો ખતરોદૂધના ફેટને બદલે સસ્તું પામોલીન ઓઈલ, સ્કિમ્ડ મિલ્ક પાવડર અને કેમિકલ ઈમલ્સિફાયરના મિશ્રણથી બને છે. તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોવાથી હાર્ટ એટેક, બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધે છે.
કરુણાંતિકા સર્જાઈ:નવસારીમાં પિતાની જ કારની અડફેટમાં આવતા પુત્રનું મોત
નવસારીના છાપરા ગામે પિતાએ જ અજાણતામાં પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સ લેતા અથવા હંકારતા પોતાના 2 વર્ષના માસૂમ પુત્રને અડફેટમાં લીધું હતું. કાર અડફેટમાં આવતા પુત્રનું મોત નિપજ્યું છે. નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 1 એપ્રિલના રોજ રાત્રે આશરે 9.30 વાગ્યે છાપરા રોડ પર આવેલી ખોડીયારનગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અબ્રામા ગામે રહેતા ભાવિનભાઈ ગોવિંદભાઈ પટેલ પોતાની કાર (નં. GJ-21 Y-9396) ચલાવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સમાં લેતા અથવા હંકારતા પોતાના જ 2 વર્ષીય પુત્ર રીશીવને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં રીશીવને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક બાળકના મામા હાર્દિકભાઈ પટેલે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવિનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એમ.એલ. સૈયદે હાથ ધરી છે.
વેધર રિપોર્ટ:બપોરમાં 35 ડીગ્રી તાપમાન,સવારે 93% ભેજથી ઉકળાટ
નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) દ્વારા જાહેર કરાયેલા 3 એપ્રિલ 2026ના હવામાન મુજબ શહેરમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ નોંધાયું છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ગરમીનો અનુભવ થયો હતો, જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ઊંચું રહી 93 ટકા સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ગરમી સાથે ભેજનો ઉકળાટ અનુભવાયો હતો. જોકે સાંજે ભેજ ઘટીને 38 ટકા રહેતાં વાતાવરણમાં થોડી રાહત મળી હતી. પવન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતો રહ્યો હતો અને તેની ગતિ 4.4 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી, જેનાથી વાતાવરણ સામાન્ય રીતે સ્થિર રહ્યું હતું. હાલના હવામાનને જોતા આગામી દિવસોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ભેજના ફેરફારને કારણે લોકોને દિવસ દરમિયાન ઉકળાટ અને સાંજે થોડી રાહત અનુભવાઈ શકે છે.
કરુણાંતિકા સર્જાઈ:હાંસાપોરના તળાવમાં નાહવા પડેલા વિજલપોરના કિશોરનું ડૂબી જતા મોત
જલાલપોર તાલુકાના હાંસાપોર ગામની સીમમાં આવેલ તળાવમાં નાહવા પડેલા વિજલપોરના 17 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિજલપોરની એપ્પલ રેસિડેન્સીમાં રહેતો આયુષ ઉર્ફે ટપ્પુ જતિનભાઇ કોસાડીયા (ઉ.વ. 17) ગત 2 એપ્રિલના રોજ સાંજના સમયે તેના મિત્ર રાજ સાથે હાંસાપોર ગામની સીમમાં સર જે.જે. સ્કૂલની સામે નહેર પાસે આવેલા તળાવે ગયો હતો. સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં આયુષ તળાવના પાણીમાં નાહવા માટે પડ્યો હતો પરંતુ પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે મૃતકના મિત્ર રાજે વિજલપોર પોલીસ મથકે જાણ કરી હતી. મૃતક આયુષે ધો-12ની પરીક્ષા આપી હતી મૃતક આયુષ હાલમાં જ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. તેમના પિતા જતીનભાઈ કોસડિયા વિદેશ નોકરી કરતા હોવાની માહિતી મળી છે. એક વર્ષ પહેલા જ એપ્પલ રેસિડેન્સીમાં રહેવા આવ્યા હતા. મૃતક આયુષ તેના મિત્રની બર્થડે હોય ફરવા ગયા હતા. પિતા વિદેશ નોકરી કરતા હોય શનિવારે ભારત આવનાર હોવાની માહિતી મળી છે. મનપા ક્યારે જાગશે? હાંસાપોર તળાવની ફરતે સુરક્ષા કે ચેતવણીના બોર્ડ જ નથીહાંસાપોર તળાવ ઊંડું હોય કિનારે ભયજનક અને ચેતવણી માટે કોઈ બોર્ડ પણ મૂક્યા ન હોવાની માહિતી સાંપડી છે. હાલમાં ઉનાળો હોય બાળકો પાણીમાં નાહવા માટે આવતા હોય કોઈ દુર્ઘટના ન થાય તે માટે મનપાએ બોર્ડ મૂકવું જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.
બદલી:નવસારી જિલ્લા પોલીસ બેડામાં ફેરબદલ, 14 PI ની સામૂહિક બદલી
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાને રાખીને જિલ્લાના 14 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલા અધિકારીઓમાં મોટાભાગના લીવ રિઝર્વમાંથી મુખ્ય પોલીસ મથકોમાં નિમણૂક પામ્યા છે. જે અંતર્ગત કે.ડી. નકુમની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં, પી.બી. પટેલીયાની ચીખલીમાં અને આર.એસ. પટેલની એસઓજીમાં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એન.આઈ. રાઠોડની ગણદેવી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે, જ્યારે એસ.એસ. પવારને વિજલપોરનો હવાલો સોંપાયો છે. મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપતા વી.કે. ઉંજીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, સાથે જ તેઓને આઇયુસીએડબલ્યુનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. અન્ય મહત્વની નિમણૂકોમાં એન.એમ. ચૌધરીને એલઆઈબીમાં અને એમ.કે.ગોસ્વામીને એએચટીયુમાં જવાબદારી સોંપવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6માં આવેલા ભેંસત ખાડાથી વિરાવળ જકાતનાકા તરફ જતાં રિંગરોડ પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની રહી છે. આ વિસ્તારમાં આવેલી વરસાદી ગટર લાઇન વર્ષોથી અપૂરતી અને ક્ષતિગ્રસ્ત હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં ગટરના પાણી ઉભરાઈને રોડ પર અને નીચાણવાળા ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે લાખોનું નુકસાન થાય છે અને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. ઉનાળો પૂરો થવા આવ્યો હોવા છતાં મનપા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. જો સમયસર ગટર લાઈનનું નવિનીકરણ કે સફાઈ કરવામાં નહીં આવે, તો આ વર્ષે પણ ચોમાસામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે તે નક્કી છે. તંત્ર વહેલી તકે જાગે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન જ્યારે પણ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે સૌ પ્રથમ શહેરમાં આ ભેંસતખાડા વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થાય છે અને ગણતરીના કલાકોમાં જ આખો વિસ્તાર પાણીમાં ગરક થઇ જવા પામે છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ખાનપુરમાં વાને બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ગંભીર ઇજાથી મોત
વાંસદા તાલુકાના ખાનપુર ગામ પાસે ધરમપુર તરફથી બાઈકનો હપ્તો ભરીને ઘરે પરત ફરતા હતા ત્યારે મારૂતિ વાન ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા છાતી તથા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જતા રાત્રીના સમય ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. વાંસદા તાલુકાના ખાનપુર ચાર રસ્તા પાસેથી વધઈ તાલુકાના બોર દહાલ ગામે રહેતા રામચંદ્ર લક્ષ્મણ ભાઈ ભોંયે ઉમ્ર 20 વર્ષ એ ડ્યુક બાઇક નંબર જીજે.15. ઇડી.6915 લઈને ધરમપુર ગામે બાઈકનો હપ્તો ભરીને ત્યાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન મારુતિ વાન નંબર જી.જે.15. PP. 5254 નો ચાલક પ્રવીણ ઝીણાભાઇ પવાર (રહે.ધોલાર રાનપાડા ફળિયું તાલુકો ચીખલી)એ બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં રામચંદ્ર ભોંયેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મરનારના ભાઈ સુનિલ ભોંયેએ મારુતિવાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અચાનક બનેલી ઘટનાએ યુવાનનો જીવ લીધો હતો. જેને લઇ તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ લખાઇ છે ત્યાં સુધીમાં પોલીસે વાન ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

32 C