SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

મોતીપુરામાં કારમાંથી 2.99 લાખનો દારૂ ઝડપાયો:બે શખ્સોની ધરપકડ, કુલ 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે પરથી એક કારમાંથી રૂ. 2.99 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. LCB PI એસ.જે. ચાવડાની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પ્રોહિબિશન વોચમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, મોતીપુરા ઓવરબ્રિજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શામળાજી-હિંમતનગર હાઈવે રોડ પરથી અમદાવાદ તરફ આવી રહેલી GJ-08-AP-4632 નંબરની સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ તેમજ છૂટી બોટલો મળી કુલ 1125 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,99,298 થાય છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 15,000ના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 4 લાખની ક્રેટા કાર સહિત કુલ રૂ. 7,14,298નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કરોલી (ઘોડાઘાટી) ગામનો મહેન્દ્ર ઉર્ફે જેકી મોહનલાલ ભેરાજી ડાંગી (ઉં.વ. 34) અને ઉદયપુર જિલ્લાના ઋષભદેવ તાલુકાના બીલખ કલાવત ફળા ગામનો મયુર દિનેશ કમલાજી મીણા (ઉં.વ. 22) નો સમાવેશ થાય છે. આ કેસમાં ઉદયપુરનો ઇશ્વરસિંહજી કુંદનસિંહજી ઝાલા નામનો એક આરોપી ફરાર છે, જેણે દારૂ ભરેલી ક્રેટા ગાડી પૂરી પાડી હતી. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:56 am

રણજી - IPL ના ખેલાડીઓની ફટકાબાજી જોવા રાજકોટ આતુર:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન - ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં 154 ટીમ ટકરાશે, સંઘવી - ઇન્ટરનેશનલ ક્રિકેટરોને આમંત્રણ

ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સાથે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા મળી છે. જેમાં વેસ્ટ ઝોનની 154 યુનિવર્સિટી સામસામે ટકરાશે. જે બાદ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીની ટોપ - 16 ટીમ વચ્ચે સ્પર્ધા થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 9 મેદાનો રાખવામાં આવ્યા છે. જ્યાં રણજી, IPL ના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. ટી - 20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર - 25 ના ખેલાડીઓ ભાગ લેવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ્યારે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થશે ત્યારે ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી એવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ 27 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી યોજાશે. જે બાદ ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયાના 4 ઝોનની બેસ્ટ 4 એમ કુલ 16 ટીમ સામસામે ટકરાશે. ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું તે ખૂબ જ કઠિન હોય છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ વખતે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 154 યુનિવર્સિટીની ટીમ ભાગ લઈ રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી આશા છે કારણકે બે વર્ષ પહેલા વેસ્ટ ઝોનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ સિલ્વર મેડલ લાવી હતી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા હતા. જેમાનો એક ખેલાડી એટલે રામદેવ આચાર્ય છે. જે વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી ચૂક્યો છે. જેથી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડ અને વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પાસે ખૂબ જ અપેક્ષા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેડલ લાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ 9 ક્રિકેટ મેદાનો પર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે 1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન2. રુદ્રાક્ષ - 1, મુંજકા 3. આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદડ4. ઝાલાવાડ ગ્રાઉન્ડ, ગૌરીદડ5. ગ્રીનફિલ્ડ, જામનગર રોડ6. રુદ્રાક્ષ - 2, અટલ સરોવર7. ગ્રીન ફાર્મ, આજીડેમ ચોકડી8. અનિલ પેવેલિયન, લીમડા ચોક9. રતનપર ગ્રાઉન્ડ, રતનપર આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ કેપ્ટન આદિત્ય રાઠોડ વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પુષ્પરાજસિંહ જાડેજા કેરવ રાવલનીલ પંડ્યા અભિષેક નિમાવત અક્ષત મકવાણા દેવાંશ ગેરેયાઅરબાઝ બુટાકશ્યપ સુવા લક્કીરાજસિંહ વાઘેલા

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:48 am

નડિયાદમાં યુવકને પેટમાં ખંજર મારતા આંતરડા બહાર નીકળી ગયા:સમાધાનના બહાને બોલાવી બે શખ્સોએ હુમલો કર્યો, યુવક વડોદરામાં સારવાર હેઠળ

નડિયાદના મલારપુરા વિસ્તારમાં 20 વર્ષીય ધ્રુવ રજનીકાંત રાવળ પર સમાધાનના બહાને બોલાવી બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને પેટમાં ખંજર વાગતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. હાલમાં ધ્રુવ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બૂમો પાડવાનું કારણ પૂછી બે-ત્રણ લાફા માર્યાપોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના 16 જાન્યુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદી ધ્રુવ રાવળ મલ્હારપુરા રોડ પર બૂમો પાડી રહ્યો હતો. તે સમયે જયેશ વાસુદેવ તળપદાએ તેને બૂમો પાડવાનું કારણ પૂછી બે-ત્રણ લાફા માર્યા હતા. આ મામલે ધ્રુવે જયેશના કાકા ગોપાલ ઉર્ફે નાનકા તળપદાને ફોન પર ફરિયાદ કરી હતી. સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યોત્યારબાદ રાત્રિના આશરે 1 વાગ્યે ગોપાલ ઉર્ફે નાનકાએ ધ્રુવને ફોન કરીને જયેશ સાથે સમાધાન કરાવવા પોતાના ઘરે બોલાવ્યો. ધ્રુવ ગોપાલના ઘરે પહોંચતા જ ગોપાલે તેને પકડી રાખ્યો. આ દરમિયાન જયેશ તળપદા હાથમાં ખંજર લઈને આવ્યો અને ધ્રુવના પેટના વચ્ચેના ભાગે તેમજ બંને પગની જાંઘ પર ખંજરના ઘા ઝીંકી દીધા. યુવક વડોદરામાં સારવાર હેઠળહુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલો ધ્રુવ લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો અને પરિવારને જાણ કરી. તેના બહેન અને બનેવી તેને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ઈજા ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. નડિયાદ ટાઉન પોલીસે જયેશ વાસુદેવ તળપદા અને ગોપાલ ઉર્ફે નાનકા તળપદા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:47 am

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અકસ્માત, એકનું મોત:પેસેન્જર લેવા ઉભેલી રિક્ષાને ટ્રેલરે ટક્કર મારી, 4 ઘાયલ

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રિક્ષા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ચાર પેસેન્જરો ઘાયલ થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર, રામદેવપુર ગામ તરફથી આવતી એક રિક્ષા હાઈવે પર પેસેન્જર ભરવા માટે ઉભી હતી. તે દરમિયાન માલવણ તરફથી આવતા RJ 36 GA 7174 નંબરના ટ્રેલરના ચાલકે ઉભેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટ્રેલરની ટક્કરથી રિક્ષા હવામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલા સહિત ચાર પેસેન્જરોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટરોએ રાજગઢના રહેવાસી 55 વર્ષીય પુંજાભાઈ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સોની તલાવડીના 65 વર્ષીય ગૌરીબેન વિરાણી અને હળવદ રોડના 65 વર્ષીય ગીતાબેન રુદાતલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. રામદેવપુરના 60 વર્ષીય શામજીભાઈ પરમારને સામાન્ય ઈજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:37 am

વાવ-થરાદમાં છેલ્લા 12 કલાકમાં બે અકસ્માત, એકનું મોત-ત્રણ ઘાયલ:દિયોદરના લુદરામાં ટ્રકે ટક્કર મારતા દૂધના ટેન્કરના ચાલકને મોત મળ્યું, ભાભર હાઈવે પર સ્કોર્પિયોની ટક્કરે ટ્રેક્ટર ઊંધુ વળી ગયું

વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માત થયા છે. આ ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતો દિયોદરના લુદરા અને ભાભર હાઈવે પર બન્યા હતા. ટ્રેક્ટર-સ્કોર્પિયો વચ્ચે ટક્કરપ્રથમ અકસ્માત ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા નજીક મોડી રાત્રે થયો હતો. અહીં એક ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઇશર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માતબીજો અકસ્માત દિયોદરના લુદરા ગામ પાસે વહેલી સવારે થયો હતો. આઇશર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક લાખાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:37 am

પોરબંદરની સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત રૂપારેલ MBA કોલેજમાં મોટું કૌભાંડ:GTUમાં રજિસ્ટ્રેશન જ ન હોવાનું ખુલ્યું; 42 વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય, ₹12.60 લાખની ફી વસૂલી પણ સુવિધા શૂન્ય

પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એન. રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA)ની ઘોર બેદરકારીને કારણે 42 નિર્દોષ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. એક તરફ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની 'ભૂલ' સ્વીકારી રહ્યા છે, તો બીજી તરફ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ કોલેજ પાસે વર્ષ 2025-26 માટે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)નું માન્ય એફિલિએશન (નોંધણી) જ નથી. પરીક્ષાના દિવસે જ 'ધડાકો': હોલ ટિકિટ ન આવતાં વિદ્યાર્થીઓ રડી પડ્યાગઈકાલે (16 જાન્યુઆરી) જ્યારે રાજ્યભરમાં MBA સેમેસ્ટર-1ની પરીક્ષાઓ શરૂ થઈ, ત્યારે રૂપારેલ કોલેજના 42 વિદ્યાર્થી ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જોકે, હોલ ટિકિટ ન મળતાં તેમને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. છેલ્લા એક મહિનાથી કોલેજ વહીવટીતંત્ર હોલ ટિકિટ આવી જશે તેવા ખોટા આશ્વાસનો આપતું હતું, પરંતુ અંતે પરીક્ષાના દિવસે જ આચાર્યએ ફોર્મ સબમિટ ન થયા હોવાની કબૂલાત કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ રડી પડ્યા હતા. આચાર્યનો લુલો બચાવ: “હાઈ બ્લડપ્રેશરને કારણે ફોર્મ ભરવાનું ભૂલી ગયો”વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુમિત આચાર્યએ જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, એડમિશન કમિટીમાં ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં મારી વ્યક્તિગત ક્ષતિ રહી છે. હાઈ બ્લડપ્રેશરના ડિપ્રેશનને કારણે હું 15 સપ્ટેમ્બરની ડેડલાઇન ચૂકી ગયો હતો. નોંધનીય છે કે, ફોર્મ ભરવાની પ્રક્રિયા 1 ઓગસ્ટથી શરૂ થઈ હતી, છતાં 4 મહિના સુધી આ વાત છુપાવવામાં આવી હતી. ચોંકાવનારો વળાંક: કોલેજની માન્યતા પર જ સવાલોઆ સમગ્ર મામલે આપ નેતા ડૉ. નૂતન ગોકાણીએ તપાસ કરતાં અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. GTUની વેબસાઈટ મુજબ, વર્ષ 2025-26 માટે આ કોલેજનું એનરોલમેન્ટ જ થયેલું નથી. આનો અર્થ એ થાય કે કોલેજ પાસે યુનિવર્સિટીની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો માન્યતા જ ન હોય, તો વિદ્યાર્થીઓએ મેળવેલી ડિગ્રી પણ રદબાતલ ઠરી શકે છે. ₹12.60 લાખની ફી વસૂલી પણ સુવિધા શૂન્યઆક્ષેપ છે કે, કોલેજે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી સેમેસ્ટરની ફી પેટે અંદાજે ₹30,000 વસૂલ્યા છે. 42 વિદ્યાર્થીની કુલ ₹12.60 લાખ જેવી મોટી રકમ લીધા બાદ પણ તેમની કારકિર્દી સાથે ચેડાં કરવામાં આવ્યા છે. છાયા ગામ અને આસપાસના મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓએ પેટે પાટા બાંધીને આ ફી ભરી હતી, જે હવે એળે જતી દેખાય છે. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટની શંકાસ્પદ ભૂમિકાટ્રસ્ટી ભાનુપ્રકાશ સ્વામીએ આ ઘટનાને અધ્યાપકની ભૂલ ગણાવી સંસ્થાનો બચાવ કર્યો છે. જોકે, સવાલ એ ઉભો થાય છે કે, 4 મહિના સુધી મેનેજમેન્ટે આચાર્ય પાસેથી કોઈ ફોલોઅપ કેમ ન લીધું? શું આ આખું કૌભાંડ જાણીજોઈને આચરવામાં આવ્યું છે? ગમે તે કરો પણ અમારું વર્ષ બગડવું ન જોઈએ. : વિદ્યાર્થીઆ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ડૉ. નૂતન ગોકાણીએ વાલીઓને જાગૃત થવા અપીલ કરી છે અને આ મામલે કાયદાકીય લડત લડવાની ચીમકી આપી છે. વિદ્યાર્થીઓની એક જ માંગ છે: ગમે તે કરો પણ અમારું વર્ષ બગડવું ન જોઈએ. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષણ વિભાગ અને GTU આ 42 વિદ્યાર્થીના હિતમાં કોઈ વિશેષ નિર્ણય લે છે કે પછી આ શૈક્ષણિક સંસ્થાની બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓએ જ બનવું પડશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:25 am

દબાણ હટાવતા દબાણશાખાની ટીમ પર જ ‘દબાણ’:સુરસાગરમાં લારી ધારકોએ વાહન આગળ બેસી ગયાં, હલ્લાબોલ કરી કોર્પોરેશન-ભાજપ ‘હાય હાય'ના નારા લાગવ્યાં; પોલીસનો કાફલો દોડી આવ્યો

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા માટે મૂળ દબાણ જવાબદાર છે. ત્યારે દબાણ શાખાની બિનઅસરકારક કાર્યવાહીથી આજે શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગતરાત્રે સુરસાગર પાસે દબાણ હટાવવા ગયેલી દબાણ શાખાની ટીમે રોડ પરથી લારીઓ જપ્ત કરી હતી. આ ઘટનાને પગલે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોડ પર જ દબાળશાખાના ટ્રક આગળ બેસી રામધૂન સાથે ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. વેપારીઓ રોડ પર બેસી જતાં ટ્રાફિક સર્જાયોશહેરના સુરસાગર વિસ્તાર પાસે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચતાં જ મોટો હોબાળો મચી ગયો હતો. અહીં વેપાર-ધંધો કરતા વેપારીઓનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ધંધાર્થીઓએ દબાણ શાખાની ટ્રક આગળ બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર દબાણો, જે ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા હતા, તેને રાત્રે દૂર કરવાના કારણે હોબાળો વધુ વકર્યો હતો. દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી. કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ નારા લાગ્યાંમામલો વધુ ઉગ્ર બનતાં એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. લારી ધારક વેપારીઓએ દબાણ શાખાની ગાડી આગળ બેસીને ધરણા કર્યા અને રામધૂન બોલાવી હતી. તેમણે કોર્પોરેશન અને ભાજપ વિરુદ્ધ 'હાય હાય' જેવા નારા લગાવીને આકરો વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓ રસ્તા પર ઉતરી આવતાં વાહન-વ્યવહારમાં મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. આખરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. એ લોકોના કહ્યાં મુજબ જ લારીઓ અંદર રાખીઃ મહિલાઆ કાર્યવાહી દરમિયાન એક મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા લારીઓને અંદર મૂકવા કહેવામાં આવ્યું હતું, જે અમે તેમના કહ્યા મુજબ કર્યું હતું. છતાં તેઓ અચાનક આવીને લારીઓ ઉચકવા લાગ્યા. અમારી લારીઓ ક્યારેય કોર્પોરેશન દ્વારા આ રીતે લેવામાં આવી નથી. અમારી લારીઓ અંદર જ રહે છે, બહાર રાખતા નથી. તેઓએ બધાને અંદર રાખવા કહ્યું તો અમે અંદર રાખી, છતાં તેઓએ અમારી લારીઓ ઉચકી લીધી. અન્ય જગ્યાએ તો લારીઓ ચાલી રહી છે, પરંતુ અમારી જ બંધ કરાવી દીધી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:12 am

અમદાવાદમાં પિતા-પુત્રીનો અકસ્માત, પિતાનું મોત:પુત્રીને માથામાં ઈજા; BRTS કોરિડોરમાં એક્ટિવા રેલીંગ સાથે અથડાયું

અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે ગત(16 જાન્યુઆરી) મોડી રાત્રે એક્ટિવા પર પિતા-પુત્રી જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા પૂરઝડપે BRTSની રેલિંગમાં અથડાતા એક્ટિવાચાલક પિતાનું સ્થળ પર જ ગંભીર ઇજાના કારણે મોત થયું છે જ્યારે 16 વર્ષની પુત્રીને માથામાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પૂરઝડપે એક્ટિવા BRTSની રેલીંગ સાથે અથડાઈબાપુનગરમાં રહેતા કેતન પંચાલ તેમની 16 વર્ષની દીકરીને લઈને રાતે 11:30 વાગ્યે આસ્ટોડીયા દરવાજા પાસેથી BRTS કોરિડોરમાંથી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે એક્ટિવા BRTSની રેલીંગ સાથે અથડાઈ હતી. પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થઈBRTS રેલીંગ સાથે અથડાતા જ એક્ટિવા ચાલક કેતન પંચાલને માથામાં ગંભીર ઇજા થઈ હતી જ્યારે તેમની દીકરીને પણ માથામાં ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પિતાનું સ્થળ પર જ મોત, પુત્રી સારવારમાંઅકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે કેતન પંચાલનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે તેમની દીકરીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:05 am

કેન્સરની પીડા અસહ્ય બનતા આધેડે જીવ ગુમાવ્યો:હળવદના રણજીતગઢમાં સૂકી જુવારના ઓઘામાં ઝંપલાવી આપઘાત

હળવદના રણજીતગઢ ગામે કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી એક આધેડે આપઘાત કરી લીધો છે. તેમણે ગામની સીમમાં આવેલી વાડીમાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે બની હતી. મૃતક આધેડ છોટાલાલ નારણભાઈ હડિયલ (ઉંમર 53) હતા. તેમણે રમેશભાઈ ચાવડાની વાડીએ પડેલા સૂકા જુવારના ઓઘાને સળગાવીને તેમાં ઝંપલાવ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, છોટાલાલ હડિયલ છેલ્લા આશરે બાર વર્ષથી મોઢાના કેન્સરથી પીડાતા હતા. આ કેન્સરની પીડા તેમના માટે અસહ્ય બની ગઈ હતી, જેના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ પ્રભુભાઈ નારણભાઈ હડિયલ (ઉંમર 51), રહે. રણજીતગઢ, દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:55 am

રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો:10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ, હાલ હવામાન શુષ્ક રહેશે; 21થી 25 જાન્યુઆરી વરસાદની સંભાવના

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ, 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જોકે, આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રીહવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં કોઈ મોટા હવામાનિક ફેરફારની શક્યતા નથી અને રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. તો બીજી તરફ, કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, 21થી 25 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પણ રહેલી છે. આ વચ્ચે, રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા ખાતે નોંધાયું છે, જ્યાં 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:41 am

વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખની લૂંટ:એક લૂંટારુએ છાતીમાં મુક્કા માર્યા, બુમાબુમ કરતા સ્થાનિકોએ એકને ઝડપ્યો, 3 ભાગી ગયા; હરણી-વારસિયા રિંગરોડ પરનો બનાવ

વડોદરા શહેરના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક 68 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આંખમાં મરચાની ભૂકી નાખી બેગ લઈ ફરારઆ મામલે લીલારામ રેવાણીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ધંધો કરું છું અને વેપારી છું. હું દુકાનેથી ફોરવ્હીલર લઈ ઘરે રાત્રે પરત ફર્યો હતો ત્યારે ઘર આગળ જ બાઈક અને એક્ટિવા લઈ ચાર છોકરાઓ આવ્યા હતા. તેઓના ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા. દરમિયાન હું ગાડીમાંથી નીચે ઉતર્યો તો એક છોકરો મને છાતી પર ફેટ મારવા લાગ્યો હતો. અન્ય એક છોકરાએ મારી આંખમાં મરચાંની ભૂકી નાખી અને ગાડીમાં રહેલા રોકડ 10 લાખની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખસો લૂંટ કરી ફરારઆ અંગે સ્થાનિક અને સંબંધી પુરુષોત્તમભાઈ પીતાંબરદાસ ટિલવાણીએ જણાવ્યું હતું કે , આ ઘટના હરણી વારસિયા રિંગરોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટી પાસે બની છે. મારા કાકા લીલારામભાઈ (ઉંમર આશરે 68 વર્ષ) તેમની દુકાનેથી ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખસોએ તેમની આંખમાં મરચું નાખી દીધું અને તેમના હાથમાં રહેલી પૈસા ભરેલી બેગ ઝૂંટવીને નાસી ગયા હતા. એક ચોરને વાહન સાથે પકડ્યોવધુમાં કહ્યું કે, તે કેટલા લોકો હતા તે અંદાજો નથી, પરંતુ એક વ્યક્તિને પકડ્યો છે અને ટુ વ્હીલર પણ પકડ્યું છે જેમાંથી પક્કડ અને ત્રણ અલગ અલગ નબર પ્લેટ મળી આવી છે અને તેને પોલીસ લઈ ગઈ છે. કાકાની આંખમાં મરચું હોવાથી અમે તરત જ તેમને ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા. સાથે જ અમે તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ સમયસર આવી ગઈ હતી અને એક વ્યક્તિને લઈ ગઈ છે. તસ્કર ભાગવા ગયા પરંતુ વાહન ચાલુ થયું નહીંઆ અંગે અહીંના સ્થાનિક નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, અહીં રહેતા એક વડીલ કે જેમની શહેરના સંગમ ચાર રસ્તા પાસે ગિફ્ટ શોપ છે, તેઓ રાત્રે પોતાની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની પાસે દુકાનનો વકરો ભરેલી બેગ હતી. જ્યારે તેઓ પોતાના ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે અચાનક લૂંટારૂઓએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. મરચું નાખ્યા બાદ લૂંટારૂઓ બેગ લૂંટીને ભાગવાની તૈયારીમાં હતા. પરંતુ, લૂંટારૂની ગાડી ચાલુ થઈ શકી નહીં. આસપાસના લોકોએ એક શખસને પકડ્યોદરમિયાન વડીલે બૂમાબૂમ કરતા અમે આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતા લૂંટારૂઓ ગભરાયા અને એક શખસ ઝડપાઈ ગયો, જ્યારે તેના અન્ય સાથીદારો ભાગી છૂટ્યા હતા. અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પકડાયેલી ગાડી એકદમ નવી લાગે છે. તેમાંથી અમને નંબર પ્લેટ, પક્કડ અને કાગળ મળી આવ્યા છે. આ ગાડી જોઈને લાગે છે કે તે હમણાં જ છોડાવેલી નવી ગાડી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:07 am

પાટણમાં ટ્રકે છકડાને ટક્કર મારતા એકનું મોત:વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો, છકડાનો કચ્ચરઘાણ વળી ગયો

પાટણમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતા બે સગા ભાઇઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક ગંભીરરીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હારીજ ત્રણ રસ્તા પાસે ટર્બોએ છકડાને ટક્કર મારીઆ દુર્ઘટના અંગે મળતી માહિતી પાટણના માંખરીયા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને 24 વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા. જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હારીજ ત્રણ રસ્તા પાસે ટર્બોએ છકડાને ટક્કર મારી હતી. એકનું ઘટનાસ્થળે જ મોત, છકડાનો કચ્ચરઘાણ વળી ગયોટર્બો અને છકડો વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો કે છકડો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં સુનિલ પટણીનું મોત થઇ ચૂક્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે EMT નિલેશ ચેતવાણી તથા પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા અમિતને સારવાર અર્થે ખસેડ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીમાંખરીયા વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરાના મોત થતા સમગ્ર પટની સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતક સુનિલ પટણીને ત્રણ બાળકો છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:05 am

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનારની પોલીસે ભાઈગીરી ઉતારી:મકરપુરા GIDC કોલોનીમાં આતંક મચાવનારની અટકાયત; સ્ટેશનમાં કાન પકડી ઉઠક-બેઠક કરી

વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારની જી.આઈ.ડી.સી. કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા 16 જાન્યુઆરીના રોજ અરાજકતાનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ મામલે વાહનમાલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી ઉઠક-બેઠક કરાવી ભાઈગીરીના અભરખા ઉતર્યા હતા. એક આરોપીને ઝડપી પાડ્યો, અન્યની શોધખોળમાંજલપુર પોલીસને આ અંગેની અરજી મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર વિશાલ નથુભાઈ પાટીલ (ઉં.વ.25, રહે. ડાહીબાનગર જીઆઇડીસી કોલોની, વડોદરા)ને ઝડપી કાન પકડાવી કાર્યવાહી કરી હતી. જ્યારે આ કાર્યવાહીમાં વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ ઇસમ પાસેથી એક એક્ટિવા કબજે લેવામાં આવ્યું છે. તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતીમકરપુરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઇટો અને પથ્થર વડ હુમલો કર્યો અને તેને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે. આવી માનસિકતા ધરાવનાર ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગ રૂપે આરોપીને પકડી કાર્યવાહી કરી છે. અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાનઆ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. તોડફોડ કરનાર આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પડ્યો છે, જ્યારે એક આરોપીની હજુ શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:00 am

હેલ્મેટની આડમાં છુપાવેલ 71 લાખનો દારૂ ઝડપાયો:છાણી પોલીસે બાતમીના આધારે રેડ કરી એકને દબોચી લીધો, બિશ્નોઈ ગેંગના બે આરોપી વોન્ટેડ

વડોદરામાં અવાર-નવાર દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે બિશ્નોઈ ગેંગના બે શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે વાહનોની તપાસ કરીઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના 'સનરાઇઝ એસ્ટેટ' નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઊભેલા બંધ બોડીના આઇસર કંટેનર અને અશોક લે-લન મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી. એકની ધરપકડ, બે વોન્ટેડ જાહેરઆ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહીમાંપોલીસે ભારતીય બનાવટની કુલ 33,840 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 71,68,416 સાથે 492 સેફ્ટી હેલ્મેટનો મુદ્દામાલ જપ્ત જરવામાં આવ્યો છે. આ આ સાથે આ કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવણા રાજપૂત (ઉં.વ.34, ધંધો: ડ્રાઇવિંગ, રહેઠાણ: હોથી ગામ, તા. થાના-ચિતલવાના, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બિશ્નોઇ ગેંગના હિતેષ બિશ્નોઇ ( રહે સેનદરી ગામ, તા. થાના-સેનદરી, જિ. બાડમેર, રાજસ્થાન) અને હિતેષ બિશ્નોઇનો સાથીદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:38 am

વલસાડ ધરમપુર રોડ પર સ્પીડ બ્રેકર મુકાયા:કોર્ટ પાસે વારંવાર થતા અકસ્માતો રોકવા નિર્ણય

વલસાડ શહેરના વ્યસ્ત ધરમપુર રોડ પર કોર્ટના મુખ્ય દરવાજા પાસે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે સ્પીડ બ્રેકર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પગલું વાહનોની ગતિ મર્યાદિત કરવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને જાનહાનિના જોખમને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યું છે. કોર્ટ પાસે લોકોની અવરજવર વધુ હોવાથી, સ્પીડ બ્રેકર વાહનોની ગતિ ધીમી પાડશે, જેનાથી અકસ્માતની સંભાવના ઘટશે. આ ઉપરાંત, પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે અને રાહદારીઓ તેમજ કોર્ટમાં આવતા લોકો માટે રસ્તો ઓળંગવો વધુ સુરક્ષિત બનશે. જોકે, સ્પીડ બ્રેકર મુકવાથી ગતિ પર કાબુ આવશે, તેમ છતાં વાહન ચાલકોએ આ વિસ્તારમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવું હિતાવહ છે, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:20 am

VIMS હોસ્પિટલમાં ભંગાર ચોરીનો પ્રયાસ:કર્મચારીઓએ ઓપરેટરને રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો

વલસાડ હાઇવે પર આવેલી VIMS હોસ્પિટલમાં ભંગાર ચોરીનો પ્રયાસ થયો હતો. હોસ્પિટલના જ એક ઓપરેટરને કર્મચારીઓએ ₹15 હજારની કિંમતના લોખંડના ભંગાર સાથે રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે વલસાડના તીથલ રોડ પર રહેતા અને VIMS હોસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. અદિતિ સંદિપ દેસાઈએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગત રોજ સાંજે આશરે ૬:૫૦ વાગ્યાના અરસામાં બની હતી. ચોરીનો પ્રયાસ કરનાર આરોપી હોસ્પિટલનો STP/ETP પ્લાન્ટ ઓપરેટર યોગિનભાઈ છગનભાઈ પટેલ (રહે. ધરમપુર, બામટી) હોવાનું બહાર આવ્યું છે. તેણે હોસ્પિટલના પાછળના ભાગે આવેલા ઇલેક્ટ્રિકલ રૂમ પાસે રાખેલો લોખંડનો ભંગાર પોતાની સિલ્વર કલરની ઇકો કાર (નંબર: GJ-15-CB-3886) માં ભરી દીધો હતો. જ્યારે આરોપી ચોરીનો સામાન લઈને જઈ રહ્યો હતો, ત્યારે હોસ્પિટલના અન્ય જાગૃત કર્મચારીઓની નજરે ચડી ગયો હતો. કર્મચારીઓએ તેને સ્થળ પર જ અટકાવી ડૉ. અદિતિબેનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને બોલાવી આરોપી યોગિનભાઈ પટેલ અને ચોરીના સામાન ભરેલી કાર બંનેને વલસાડ રૂરલ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૦૬ (જે અગાઉ IPC ૩૮૧ - નોકર દ્વારા ચોરી તરીકે જાણીતી હતી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:19 am

વલસાડમાં ડ્રગ્સ જાગૃતિ માટે મેગા શિબિર:મોંઘાભાઇ દેસાઇ હોલ યોજાનાર શિબિરમાં જસ્ટિસ કોગ્ઝે ઉપસ્થિત રહેશે

વલસાડમાં આજે ડ્રગ્સ અવેરનેસ (નશાબંધી જાગૃતિ) વિષય પર એક કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા શિબિર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ મોંઘાભાઇ દેસાઇ હોલ ખાતે યોજાશે. ગુજરાત હાઈકોર્ટના સીનિયર મોસ્ટ જજ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ એ. વાય. કોગ્ઝે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે સભ્ય સચિવ એચ. એમ. પવાર પણ વિશેષ ઉપસ્થિતિ આપી માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ NALSA ની 'DAWN' (Drug Awareness and Wellness Navigation - For Drug Free India) Scheme, 2025 અંતર્ગત યોજાઈ રહ્યો છે. તેનો મુખ્ય હેતુ સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવાનો છે. શિબિરમાં યુવાનો ખોટી સંગત કે દેખાદેખીમાં નશાના રવાડે ન ચડે તે માટે તેમને જાગૃત કરવામાં આવશે. ઉપરાંત, નશા વિરોધી પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ અને ઉપલબ્ધ કાનૂની સહાય વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડના અધ્યક્ષ કુ. નિપા સી. રાવલ દ્વારા સ્વસ્થ સમાજની રચના અને યુવાધનના સંવર્ધન માટે આ શિબિરમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે. શિબિરનો સંદેશ Rise Beyond Drugs, Build a Drug Free India - From Darkness to DAWN છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:17 am

જીવલેણ હુમલો કરાયો:પારિવારિક દાઝે પાડોશી વચ્ચે થયેલો સશસ્ત્ર લોહિયાળ હુમલો

ભાવનગર શહેરના કરચલીયા પરા હનુમાન નગર વિસ્તારમાં ઝઘડાની જૂની દાઝને કારણે પાડોશીઓ વચ્ચે ગંભીર અને લોહિયાળ હુમલાની ઘટના બની હતી. ધારિયા, ધોકા અને છરી જેવા ઘાતક હથિયારો સાથે કરાયેલા આ હુમલામાં પરિવારના ચાર સભ્યોને ઇજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. . ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કરચલીયા પરા હનુમાન નગર ખાતે રહેતા હરેશભાઈ ઉર્ફે સાંગો સુરેશભાઈ સોલંકી તા. 15/1ની રાત્રે વાળુ પાણી કરીને પોતાના ઘર પાસે જ રહેતા સાસુના ઘરે પત્ની, સાળી તથા સાસુ સાથે ઘરની બહાર તાપણું કરી બેઠા હતા. તે દરમિયાન સામે જ રહેતા રાકેશ ચાંગુલભાઈ જાદવ, તેનો દીકરો ગોપાલ તથા સુનો નામનો વ્યક્તિ ઘાતક હથિયારો લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને ગાળો બોલી ઉશ્કેરાટભર્યું વર્તન કર્યું હતું. તમારા ઘરનાં ઝઘડામાં સુનાની પત્ની મુસ્કાનબેનને ઈંટડું કેમ વાગ્યું તેમ કહી તેમણે અચાનક ધોકા અને ધારિયાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં હરેશભાઈના માથાના ભાગે ધારિયાનો ઘા વાગ્યો હતો. બચાવ માટે વચ્ચે પડેલા પરિવારજનોને પણ ઇજાઓ પહોંચી હતી અને દેકારો થતા હુમલાખોરો સ્થળ પરથી જતા રહ્યા હતા. થોડા સમય બાદ સુનાની પત્ની મુસ્કાનબેન તેની સાથે મનોજ ઉર્ફે બાડો તથા રવિ ઉર્ફે ટોટો ગાળો બોલતા ફરી આવી પહોંચ્યા હતા. મનોજના હાથમાં ખુલ્લી છરી હતી અને તેણે હરેશભાઈ ને ગુપ્ત ભાગ નજીક પેડુની જગ્યાએ છરીનો ઘા માર્યો હતો, જ્યારે રવિએ ધોકા વડે આડેધડ માર મારી હરેશભાઈની પત્ની અને સાળીને પણ ઇજાઓ પહોંચાડી હતી. જતા જતા ફરી અમારી સાથે માથાકૂટ કરી તો જીવતા નહીં રહો તેવી ગંભીર ધમકી પણ આપી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા હરેશભાઈ, તેમની માતા, પત્ની અને સાળીને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે આગલા દિવસે હરેશભાઈ ના બીજા સાળી અને સાઢુભાઈ વચ્ચે થયેલા પારિવારિક ઝઘડામાં મુસ્કાનબેનને ઈંટડું વાગ્યું હોવાની દાઝ રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:31 am

મોટી જાગધાર ગામે બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી:યુવતીના ફોટા પાડ્યાની શંકાએ બે જુથ વચ્ચે બઘડાટી

મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે પતંગ ચગાવવા વખતે કેટલાક શખ્સોએ બાજુની અગાશીમાં પતંગ ચગાવતી કેટલીક યુવતીઓના ફોટા પાડ્યાની શંકા રાખી, યુવતીઓના કાકા તેમજ ભાઇએ ફોટા પાડનાર શખ્સોને ઠપકો આપવા જતા બે જુથ વચ્ચે મારામારી સર્જાઇ હતી. મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે રહેતા મોહનભાઇ ઘેલાભાઇ પરમારએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉતરાયણના દિવસે તેમના ઘરે તેમની દિકરી તેમજ અન્ય દિકરીઓ અગાશીમાં પતંગ ચગાવતા હતા જે દરમિયાન તેમની અગાશીની બાજુમાં કેટલાક શખ્સો પણ પતંગ ચગાવતા હોય જે દરમિયાન યુવતીઓના ફોટા પાડ્યા હોય તેવી શંકા યુવતીઓના ભાઇ તેમજ કાકાને ગઇ હતી. જે બાદ ફોટા પાડનાર શખ્સના ઘરે જઇને મોબાઇલ ચેક કર્યા હતા. અને જે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેને લઇને ઠપકો આપવા પહોંચેલા મોહનભાઇ, અશોકભાઇ અને વૈશાલીબેન સહિતનાઓ ઉપર નવ જેટલા શખ્સોએ લાકડી, ધોકા, પથ્થરો મારો કરી, જીવલેણ હુમલો કર્યો હતો. જે દરમિયાન ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખાતે ખસેડાયા હતા. જ્યારે સામાપક્ષે અશોકભાઇ, પરેશભાઇ અને હરદેવભાઇએ પણ હુમલો કર્યાનું પોલીસ મથકમાં જણાવતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મોહનભાઇએ અજીતસિંહ રણુભા સરવૈયા, પદુભા ઉમેશસિંહ સરવૈયા, વિરમદેવસિંહ મનુભા સરવૈયા, હરદિપસિંહ અશ્વિનસિંહ સરવૈયા, અભયરાજસિંહ શૈલેશસિંહ સરવૈયા, અશોકસિંહ જામભા સરવૈયા, નરેન્દ્રસિંહ અજીતસિંહ સરવૈયા, અર્જુનસિંહ જામભા સરવૈયા અને અશ્વિનસિંહ ઘેલુભા સરવૈયા વિરૂદ્ધ અને અશોકસિંહ જામભા સરવૈયાએ અશોક પરમાર, પરેશ પરમાર અને હરદેવ પરમાર વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગામમાં ઉતરાયણ લોહિયાળ બનીમોટી જાગધાર ગામે કેટલાક શખ્સોના અણછાજતા વર્તનને લઇને બે જૂથ વચ્ચે સામસામી મારમારી સર્જાઇ હતી. અને ત્રણથી પાંચ લોકોને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ લોકોને ગંભીર હાલતે વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:29 am

ખેડૂતોની રાત દિવસની મહેનત નિષ્ફળ ગઇ:સિહોર પંથકમાં ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને બેવડો માર

સિહોર પંથકમાં ખરીફ પાક લગભગ સંપૂર્ણપણે નામશેષ થઇ જતાં જગતના તાતને ધોળા દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વિક્રમ સંવત 2082નું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કપરું શરૂ થયું છે.મગફળી,કપાસ,સરગવો અને હવે પછી ડુંગળીએ ખેડૂતોની આશા પર નિરાશાનું પાણી ફેરવી દીધું છે. કપાસ અને ડુંગળીએ ખેડૂતની આર્થિક સંકટતા દૂર કરી શકે છે પરંતુ આ વરસે આ બંને પાક નિષ્ફળ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. કપાસ બગડી જતાં ખેંચી નાખવાની નોબત આવી.હવે ડુંગળીનો રોપ પણ બગડી ખેડૂતોએ ડુંગળીના પાકમાં પાવડી મરાવી દીધી.પછી વીણાય એટલી ડુંગળી વીણી ઘઉંનું વાવેતર કરી દીધું. ત્રણ-ત્રણ ખરીફ પાક સમૂળગા નિષ્ફળ ગયા છે. મગફળી,કપાસ અને સરગવામાં જેટલું નુકસાન થયું એટલું જ નુકસાન ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીમાં પણ થયું છે.જો ડુંગળીનો ઉતારો એક વીઘે 200 મણનો આવે અને ભાવ રૂ.350થી 400 આવે તો જ ધરતીપુત્રોને વળતર મળે.અન્યથા તેની મહેનત અને ખાતર,બિયારણ,દવા પર પાણી ફરી વળે. અત્યારે એક વીઘે 50થી 100 મણનો ઉતારો આવે છે. આ ઉતારો અને ભાવમાં ડુંગળીને પોતાના ગામથી માર્કેટયાર્ડ સુધી લઇ જઇને શું કરવું એવો સવાલ ધરતીપુત્રોને ખૂંચી રહ્યો છે.અત્યારે ડુંગળીનો ભાવ મણે 100થી 150 રૂપિયા છે. બે વખત વાવેતર કર્યુ પણ એકેયમાં સફળતા ન મળીદિવાળી ઉપર અઢી વીઘામાં રોપની ડુંગળી ચોપી હતી. કમોસમી વરસાદે એ બગાડી નાખી પછી ફરીથી એજ અઢી વીઘાના પડામાં કળીની ડુંગળી ચોપી હતી. એ પાક પણ ભાવના અભાવે નિષ્ફળ ગયો. બેય વખતે 35-35 હજાર લેખે મારે કુલ 70 હજારનું નુકસાન થયું છે.ડુંગળીની નિકાસમાં સરકાર ધ્યાન ન આપતી હોવાથી, ડુંગળીના ભાવ તળિયે ગયા છે.> મહાસુખભાઇ જાની, ખેડૂત,રબારિકા 25થી વધુ ગામોમાં ડુંગળીનુ વાવેતર,ભાવ મણે 100થી 150 રૂપિયાસિહોર તાલુકાના ભાંખલ,થોરાળી,થાળા,પાલડી,બેકડી,ટાણા, વરલ, ઢુંઢસર, રબારિકા, દેવગાણા, બુઢણા,લવરડા, નવા જાળિયા, ભડલી,ધ્રુપકા, ખાંભા, સાગવાડી, ખારી,મઢડા, રાજપરા(ખોડિયાર), જૂના જાળિયા, મેઘવદર, કરકોલિયા, ઝરિયા, સણોસરા,ટોડા,ટોડી,માલવણ સહિતના ગામોમાં ડુંગળીનું વાવેતર થાય છે. ડુંગળીની છેલ્લી આશાએ ધરતીપુત્રોને નિરાશ બનાવી દીધા છે. સિહોર તાલુકામાં આ વરસે 1326 હેકટરમાં ડુંગળીનું વાવેતરસિહોર તાલુકામાં આ વરસે 1326 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. અને પ્રવર્તમાન સમયમાં 60 રૂપિયાથી શરૂ કરીને 150 રૂપિયો સુધીનો 20 કિલો ડુંગળીનો ભાવ છે.અત્યારે એક દાડિયો સાંજ પડ્યે મજૂરીના 450 રૂપિયા દાડી લે છે. સાંજ પડ્યે એની દાડી મજૂરને ચુકવવી પડે છે પણ ખેડૂતને એનું વળતર મળે પણ ખરું અને ન પણ મળે. એની કોઇ ચોક્કસ ખાતરી હોતી નથી. આથી ખેતી કરતો ખેડૂત માત્ર ભગવાન પર આધાર રાખીને જ ખેતી કરે છે.એક સિઝનમાં પાક નિષ્ફળ જાય તો બીજી સિઝનની રાહ જુએ છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:28 am

પરિણીતાને ત્રાસ અપાયો:તળાજામાં પરિણીતાએ સાસરીયા સામે ત્રાસની ફરિયાદ નોંધાવી

તળાજા શહેરમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમયથી સહન કરવો પડતો ત્રાસ અસહ્ય બનતાં અંતે કાનૂની માર્ગ અપનાવવો પડ્યો હતો તેમ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તળાજા ખાતે રહેતા શીતલબેન ચેતનભાઇ ચુડાસમાના લગ્ન તળાજાના રાજપરા ગામ નં. ૨ ખાતે રહેતા ચેતનભાઇ શાંતિભાઇ ચુડાસમા સાથે થયેલા હતા અને સંતાનમાં તેમને એક દીકરો હતો. તે સમયગાળા દરમિયાન તેઓ પોતાના પિતાના ઘરે પિયરમાં રહેતા હતા. શીતલબેન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ પતિ ચેતન શાંતિભાઇ ચુડાસમા, સસરા શાંતિ ધીરુભાઇ ચુડાસમા અને સાસુ ભાકુબેન શાંતિભાઇ ચુડાસમા તેમજ અન્ય પારિવારિક સભ્યોની ચડામણીથી તેમને વારંવાર શારીરિક હેરાનગતિ તથા માનસિક દુઃખ અને ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે કંટાળીને તેમણે સાસરીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:27 am

ચોરીનો મામલો આવ્યો સામે:પાલિતાણાના દીક્ષાના વરઘોડામાં 14.92 લાખના સોનાની ચોરી થઇ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયેલા અઢીદ્રીપ ખાતે દીક્ષાના મહોત્સવ દરમિયાન યાત્રા અને વરઘોડા ની ભીડમાં એક શ્રદ્ધાળુ મહિલાના પર્સમાંથી અંદાજે રૂ. 14.92 લાખ કિંમતનું સોનાનું ઘરેણું ચોરી જવાની ઘટના સામે આવી છે, જેને લઈ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નાસિક, મહારાષ્ટ્રથી આવેલા લીલાબેન સુરેશભાઈ માલુએ પોલીસ ને જણાવ્યું હતું કે તેઓ પોતાની દીકરી, જમાઈ, પતિ અને પુત્ર સાથે પાલીતાણામાં અઢીદ્રીપ દીક્ષાના મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા અને જૈન ધર્મશાળામાં રોકાયા હતા. મહોત્સવ દરમ્યાન તેમની દીકરી અને જમાઈ શેત્રુંજય પર્વત પર જાત્રા કરવા ગયા હતા અને ત્યારબાદ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરી દીક્ષાર્થીઓના વરઘોડામાં જોડાયા હતા. આ સમયે લીલાબેનના પર્સમાં તેમની દીકરીના સોનાના ઘરેણાં સોનાની બંગડીઓ, પેન્ડલવાળી ચેન, 4 જોડ સોનાની બુટ્ટી અને 3 સોનાની વીંટીઓ સહિત કુલ 134 ગ્રામ સોનું રાખવામાં આવ્યું હતું, જેની અંદાજીત કિંમત રૂ. 14,92,799 થાય છે. વરઘોડાની ભીડ દરમિયાન અચાનક પર્સ તરફ ધ્યાન જતા તેની ચેન ખુલ્લી જણાઈ અને અંદર માત્ર મોબાઇલ દેખાતાં સમગ્ર પર્સ તપાસવામાં આવ્યું, જેમાં સોનાનો માલ સામાન ગાયબ હોવાનું બહાર આવ્યું. બાદમાં આજુબાજુ તથા અગાઉ ગયેલા ધાર્મિક સ્થળોએ શોધખોળ કરવામાં આવી, પરંતુ સોનાનું કોઈ અત્તાપત્તો ન મળતા આખરે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:26 am

વેધર રિપોર્ટ:શહેરમાં 3.8 ડિગ્રીના વધારા સાથે તાપમાન 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થયુ

ગઇ કાલે વાસી ઉત્તરાયણેના પર્વે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ભાવનગરમાં આ શિયાળાની સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. જો કે ગઇ કાલ સાંજથી જ પવનની દિશા બદલાઇ જતા તેમજ ઝડપ ઓછી થઇ જતા આજે એક જ દિવસમાં શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 3.8 ડિગ્રી વધીને 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ગઇ કાલે મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી હતુ તે આજે એક ડિગ્રી વધીને 29.2 ડિગ્રી થઇ ગયુ હતુ જે સામાન્યથી 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:23 am

વીજકાપ:વિઠ્ઠલવાડી અને માઢીયા રોડ સહિતના વિસ્તારોમાં વીજકાપ

પી.જી.વી.સી.એલ. દ્વારા આગામી તા.19મી જાન્યુઆરી-2026 સોમવાર થી તા.21મી જાન્યુઆરીને બુધવારે 11 કે.વી.ના શાસ્ત્રીનગર, સ્ટેશન રોડ અને વિઠ્ઠલવાડી ફિડરોમાં ત્રણ દિવસ મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 1 સુધી છ કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.19મી જાન્યુઆરી-2026 સોમવારે 11 કે.વી. શાસ્ત્રીનગર ફિડર (આંશિક) નીચે આવતા ગોંડલિયાની વાડી, વિઠ્ઠલવાડી ત્રણ માળીયા, જવાહરનગર, શાસ્ત્રીનગર પાછળનો વીસ્તાર (જુના કુવા) તથા ભાયાણીની વાડી, ઘંટીવાળો ચોક, પારસમણી ફ્લેટ, રત્નસાગર ફ્લૅટ, ઘાનાવાળો ખાંચો તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ લદાયો છે. મંગળવારે 11 કે.વી. માઢીયા ફિડર (આંશિક) નીચે આવતા માઢીયા રોડ, મ્યુ.ડ્રેનેજ, શર્મા રોલિંગ મિલ પાસેનો સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વીસ્તાર, જલારામ રોલિંગ મીલ, વિક્ટર રોડના ડેલા તેમજ આજુબાજુનો સમગ્ર વીસ્તાર, ઠક્કરબાપા સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં વીજકાપ લદાયો છે. આ ઉપરાંત તા.21મી જાન્યુઆરી-2026 બુધવારે 11 કે.વી. વિઠ્ઠલવાડી ફિડર નીચે પ્રીત સરોવર હોટલ, જીઆઇડીસી ઓફિસ, વિઠ્ઠલવાડી જીઆઇડીસી, ગવર્મેન્ટ પ્રીન્ટીંગ પ્રેસ, ખોડીયાર આઈસ્ક્રીમ, શેઠ બ્રધર્સ, ઉદ્યોગનગર ઇન્ડોર તેમજ આજુબાજુનો વિસ્તારમાં વીજકાપ રહેશે. PGVCL દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:23 am

રોડને રાતોરાત બનાવવામાં આવ્યા:વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના આગમન પૂર્વે રાતોરાત રોડ બન્યા, મુખ્યમંત્રીના સ્વાગત માટે બિસ્માર !

ભાવનગર કોર્પોરેશન દ્વારા એકસાથે શહેરનો વિકાસના મંડાણ કર્યા હોય તેમ અનેક રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં આવ્યા ત્યારે એરપોર્ટથી રૂપાણી સર્કલ સુધી રાતોરાત ટનાટન બનાવેલ રોડ તૂટી ગયો હતો અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના આગમન પૂર્વે તે જ રોડને પુનઃ થીગર થાગડ કર્યો હતો પરંતુ આ જ રોડ પરથી આજે મુખ્યમંત્રી પસાર થવાના હતા ત્યારે કોર્પોરેશને હવે રોડ બનાવવાની કે થીગડા મારવાની તસ્દી લીધી ન હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મૃદુ સ્વભાવના હોવાનું વારંવાર ખુદ સરકારી કાર્યક્રમોમાં મંચ પરથી ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવે છે. અને ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ સ્વભાવના હોવાનું કોર્પોરેશને સાબિત પણ કરી દીધું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં એક સાથે વિકાસ આરંભી દેતા શહેરના અનેક વિસ્તારોમાં ખાડા ખોદી નાખ્યા છે. હજુ સુધી તે રોડ બન્યા નથી એ પણ એક વાસ્તવિકતા છે. પરંતુ 20 મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરના મહેમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવાના હતા તે પૂર્વે તેઓ જે માર્ગ પરથી પસાર થવાના હતા તે એરપોર્ટ થી રૂપાણી સર્કલ સુધી કોર્પોરેશન દ્વારા રોડ ટનાટન બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ માત્ર દેખાવ પૂરતો હોવાથી તે રોડની ગુણવત્તા પણ નબળી હતી જેથી થોડા સમયમાં જ રોડ તૂટી ગયો હતો અને રોડને રીપેરીંગની પણ તસ્દી લેવામાં આવી ન હતી. પરંતુ ત્યારબાદ 20 મી નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ભાવનગર ખાતેનો કાર્યક્રમ આયોજિત થતાં તે બિસ્માર રોડને પુનઃ થીગડા મારી રીપેરીંગ કરી દીધો હતો. ત્યારબાદ પણ હજુ રોડનું કામ શરૂ કર્યું ન હતું. મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ રોડ તરફ લાઈન નાખવાનું કામ કરતા રોડને ખોદી નાખવામાં આવ્યો હતો. અને લાઈનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું લેવલીંગ નહીં થતાં વાહન ચાલકો પણ હેરાનગતિ ભોગવતા હતા. રોડનું કામ શરૂ થયું ન હતું ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ ભાવનગર ખાતે આયોજિત થયો. તંત્ર દ્વારા રોડ પર સફેદ પાવડર છાંટી રસ્તા પરથી રખડતા ઢોર અને કુતરા તો હટાવ્યા પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીની જેમ બિસ્માર રોડને થીગડા પણ મારી શક્યા નહીં. ખાડામાં માત્ર કપચા પાથરવામાં આવ્યા હતા. તે જ પ્રતિપાદિત કરે છે કે મુખ્યમંત્રી મૃદુ સ્વભાવના છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:22 am

શિપ રીસાયક્લિંગમાં નવો યુગ:વિશ્વનું સૌથી મોટું યાર્ડ અલંગ હવે વૈશ્વિક ધોરણો હેઠળ

ભારતના શિપ રીસાયક્લિંગ ઉદ્યોગમાં સલામતી, પર્યાવરણીય સંરક્ષણ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે શિપ રીસાયક્લિંગ રેગ્યુલેશન્સ, 2026ને નોટિફાઇ કર્યું છે. આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંરેખિત આ નવું માળખું, વિશ્વના સૌથી મોટામાંના એક, ગુજરાતના અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં કામગીરી પર સીધી અસર કરશે તેવી અપેક્ષા છે. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી સાથે, શિપ રીસાયક્લિંગ એક્ટ, 2019ની કલમ 43 હેઠળ નિયમો ઘડવામાં આવ્યા છે. તે હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર ધ સેફ એન્ડ એન્વાયર્નમેન્ટલી સાઉન્ડ રિસાયક્લિંગ ઓફ શિપ્સ, 2009 સાથે સુસંગત છે, જે જહાજના ભાંગવાને નિયંત્રિત કરતો એક મુખ્ય વૈશ્વિક બેન્ચમાર્ક છે. નિયમોનો અવકાશ વિશાળ છે, જે ભારતમાં અથવા ભારતના વિશિષ્ટ પ્રાદેશિક અધિકારક્ષેત્ર હેઠળ કાર્યરત તમામ શિપ રીસાયક્લિંગ સુવિધાઓને આવરી લે છે. સ્થાનને ધ્યાનમાં લીધા વિના, ભારતમાં નોંધાયેલા નવા જહાજો, રીસાયક્લિંગ માટે ભારતીય પાણીમાં પ્રવેશતા વિદેશી જહાજો અને દેશમાં વિખેરી નાખવા માટે નિયુક્ત કરાયેલા યુદ્ધ જહાજો અને નૌકાદળ સહાયકો સહિત સરકારી માલિકીના જહાજોને લાગુ પડે છે. આ નિયમો પ્રાદેશિક પાણીમાં પ્રવૃત્તિઓ, વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને અન્ય દરિયાઈ ક્ષેત્રો સુધી વિસ્તરે છે જ્યાં ભારત પ્રદૂષણ નિયંત્રણ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે. સૂચનામાં જોખમી સામગ્રી, લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ (LDT), પ્રવેશ માટે સલામત અને હોટ વર્ક માટે સલામત પરિસ્થિતિઓ જેવા મહત્વપૂર્ણ તકનીકી અને કાર્યકારી શબ્દો માટે વિગતવાર વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી છે. તે રાષ્ટ્રીય સત્તામંડળ, રાજ્ય દરિયાઇ બોર્ડ, બંદર સત્તામંડળ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, PESO, અણુ ઊર્જા નિયમનકારી બોર્ડ અને ઔદ્યોગિક સલામતી નિર્દેશાલયોની ભૂમિકાઓને વ્યાખ્યાયિત કરતી સંસ્થાકીય માળખું પણ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. નવા શાસન હેઠળ, દરેક જહાજ રીસાયક્લિંગ સુવિધા પ્રથમ અનુસૂચિમાં સૂચવ્યા મુજબ સલામત અને પર્યાવરણીય રીતે યોગ્ય રીતે ડિઝાઇન, નિર્માણ અને સંચાલિત હોવી જોઈએ. સુવિધાઓ માટે પાંચ વર્ષ માટે માન્ય ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ મેળવવું જરૂરી રહેશે, અને શિપ રીસાયક્લિંગ નિયમો, 2021 હેઠળ મંજૂરી વિના કોઈપણ યાર્ડ કાર્યરત થઈ શકશે નહીં. કામદારો, સ્થાનિક સમુદાયો અને પર્યાવરણ માટે જોખમો ઘટાડવાના હેતુથી મેનેજમેન્ટ સિસ્ટમ્સ ફરજિયાત બનાવવામાં આવી છે. નિયમોનું એક મુખ્ય લક્ષણ ફરજિયાત શિપ રીસાયક્લિંગ ફેસિલીટી મેનેજમેન્ટ પ્લાન (SRFMP) છે. દરેક યાર્ડે આ યોજના મંજૂરી માટે સબમિટ કરવી આવશ્યક છે, જેમાં વ્યવસાયિક સલામતી અને પર્યાવરણીય નીતિઓ, તાલીમ કાર્યક્રમો, કટોકટીની તૈયારી, અકસ્માત રિપોર્ટિંગ પદ્ધતિઓ અને રાષ્ટ્રીય કાયદાઓ, ILO માર્ગદર્શિકા અને IMO ધોરણોનું પાલન શામેલ છે. અધિકારીઓએ ખામીઓ દૂર કરવાને આધીન, 30 દિવસની અંદર મૂલ્યાંકન અને ચકાસણી પૂર્ણ કરવી જરૂરી છે. નિયમો એક મજબૂત નિરીક્ષણ અને અમલીકરણ પદ્ધતિ પણ સ્થાપિત કરે છે, જેમાં વારંવાર પાલન ન કરવાના કિસ્સામાં ઓડિટ, સુધારાત્મક કાર્યવાહી અને અધિકૃતતા નકારવાની જોગવાઈઓ શામેલ છે. જહાજ માલિકોએ તેને તોડી પાડતા પહેલા રીસાયકલિંગ માટે તૈયાર પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે, જ્યારે જોખમી સામગ્રીના સંચાલન અને કચરાનો નિકાલ કડક નિયંત્રણોને આધીન રહેશે. ભારત, ખાસ કરીને અલંગ-સોસિયામાં, જહાજ રીસાયક્લિંગમાં વૈશ્વિક સ્તરે અગ્રણી હોવાથી, સરકારે કહ્યું કે નવા નિયમો સલામતી વધારવા, પર્યાવરણીય નુકસાન ઘટાડવા અને પારદર્શિતા સુધારવાનો હેતુ ધરાવે છે. અધિકારીઓ માને છે કે શિપ રીસાયક્લિંગ રેગ્યુલેશન્સ, 2026 વૈશ્વિક દરિયાઈ રીસાયક્લિંગ ઉદ્યોગમાં ભારતની વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવશે. આજે મળ્યુ, કાલે મીટિંગમાં ચર્ચા થશેકેન્દ્ર સરકાર દ્વારા શિપ રીસાયકલિંગ રેગ્યુલેશન્સ-2026 નોટિફાઇ કરવામાં આવ્યુ છે, અને અમારા સુધી આજે જ આવ્યુ છે. આવતીકાલે અમારા એસોસિએશનની બેઠક મળશે અને તેમાં અલંગને સ્પર્શતા તમામ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. - હરેશભાઇ પરમાર, સેક્રેટરી, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) કામદારોની સલામતી પર વિશેષ ભારકામદારોની સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કરાર મજૂર, સમયાંતરે રિફ્રેશર અભ્યાસક્રમો, તબીબી પરીક્ષાઓ અને ગરમ કામ અને મર્યાદિત જગ્યા પ્રવેશ જેવા જોખમી કામગીરી માટે કડક અધિકૃતતા સહિત તમામ કામદારો માટે પ્રમાણિત તાલીમ ફરજિયાત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:18 am

વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું:મોડી આવવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

શહેરની કે.પી કોમર્સ કોલેજના બીકોમની વિધાર્થિનીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઉત્તરાયણના દિવસે મિત્રો સાથે ફરવા ગયેલી સ્નેહા રાત્રે મોડેથી આવતા પિતાએ ઠપકો આપ્યો હતો, જે વાતનું માઠું લગાવી પગલું ભરી લીધું હતું. વેડરોડ વિસ્તારમાં આવેલ ત્રિલોક સોસાયટીમાં સંતોષભાઈ કદમ ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. સંતોષભાઈ જરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેની 19 વર્ષીય પુત્રી સ્નેહા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ કે.પી કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઉત્તરાયણના દિવસે સ્નેહા તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. દરમિયાન તેના પિતાએ તેને સાંજે ઘરે પરત આવી જવા માટે કહ્યું હતું, પરંતુ તે રાત્રે મોડી આવી હતી. જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લગી જતાં સ્નેહાએ ગુરૂવારે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સ્નેહાના આપઘાત મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:12 am

વિશેષ પુસ્તકાલયનું લોકાર્પણ:ખાખીનું સપનું જોતા હોમગાર્ડ જવાનો માટે ભુજ કચેરીમાં પુસ્તકાલયનો પ્રારંભ

હોમગાર્ડના જવાનો માત્ર સહાયક દળ બનીને ન રહે પરંતુ પોલીસ દળનો કાયમી હિસ્સો બને તેવા ઉમદા આશયથી પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કચેરી ખાતે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આગામી સમયમાં યોજાનાર LRD અને PSI ની ભરતી પરીક્ષાની તૈયારી કરતા હોમગાર્ડ જવાનો માટે વિશેષ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના કમાન્ડન્ટ જનરલ પિયુષ પટેલ (IPS) એ તાજેતરમાં જિલ્લા કમાન્ડન્ટોની મીટિંગમાં દરેક જિલ્લામાં જવાનો માટે લાઈબ્રેરી હોવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ વિચારને ત્વરિત અમલમાં મૂકી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટના માર્ગદર્શન હેઠળ 16 જાન્યુઆરીની સાંજે કચેરી મધ્યે વાંચન સુવિધાથી સજ્જ પુસ્તકાલય ખુલ્લું મુકાયું હતું. આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન વડી કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર (SSO) મનીષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિત વાઢેરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનીષ ત્રિવેદીએ પશ્ચિમ કચ્છ હોમગાર્ડની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, “કમાન્ડન્ટ જનરલની ઈચ્છાને સૌપ્રથમ કચ્છ જિલ્લાએ પૂર્ણ કરી છે. હોમગાર્ડ એ પોલીસનો પૂરક ભાગ છે, પણ હવે તમે આ તૈયારી થકી પોલીસનો પૂર્ણ ભાગ બનો તેવી શુભેચ્છા છે.” તેમણે પુસ્તકાલયમાં કોઈ પણ ઘટતી સુવિધા પૂર્ણ કરવાની પણ ખાતરી આપી હતી. જ્યારે ભૂમિત વાઢેરે જવાનોને પુસ્તકનું મહત્વ સમજાવી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાગત પ્રવચનમાં મનીષ બારોટે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, વાંચન માટે લાઈબ્રેરી ઉપરાંત દોડની પ્રેક્ટિસ માટે હોમગાર્ડ રુદ્રમાતા ગ્રાઉન્ડનો ઉપયોગ કરવા માટે પણ જવાનો સંપર્ક કરી શકશે. કાર્યક્રમનું સંચાલન શિવુભા સોઢાએ અને આભારવિધિ ગૌરાંગભાઈ જોશીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:10 am

વકીલે યુવકના ગળે છરી મૂકી કરી લૂંટ:દારૂના વેચાણનો વાઇરલ વીડિયો ડિલીટ કરવા વકીલે યુવક પાસે 10 હજાર પડાવ્યા, 2 પકડાયા

ગુજરાત અસ્મિતાના સોશિયલ મીડિયા પેજ પર ઓલપાડમાં દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થતા બદનામીના ડરે યુવકે ગુજરાત અસ્મિતાના તંત્રી સચિન પટેલ (વકીલ અને બાર કાઉન્સિલ મેમ્બર)નો સંપર્ક કરી વીડિયો ખોટો હોવાનું જણાવી ડિલીટ કરવા કહ્યું હતું. જેના બદલે સચિન પટેલે 10 હજારની માંગણી કરી હતી. યુવક મળવા જતા સચિન પટેલ, સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલે યુવકને ગળે છરી મૂકી 10 હજાર લૂંટી 5 હજારની માંગણી કરી હતી. યુવકની ફરિયાદ પર ઓલપાડ પોલીસે યજ્ઞેશ પટેલ ભટલાઈ) અને સુભાષ પટેલ (રહે. મોરાભાગળ)ની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સચિન પટેલ, જેની સામે અગાઉ પણ સુરત શહેરમાં ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તે હાલ પોલીસ પકડથી દૂર છે. વીડિયોમાં પોલીસ પર 50 લાખના વહીવટના આક્ષેપવાયરલ વીડિયોમાં માત્ર યુવકને જ નહીં, પણ ઓલપાડ પોલીસને પણ નિશાન બનાવાઈ હતી. વીડિયોની કેપ્શનમાં ઓલપાડ પોલીસ મહિને ₹50 લાખનો વહીવટ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:09 am

6700 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું:21 ગ્રાન્ટેડ સ્કૂલમાં 90 શિક્ષકની ઘટ, 75 વિદ્યાર્થી વચ્ચે 1 જ શિક્ષક

સુરત જિલ્લાની 21 ગ્રાન્ટેડ પ્રાયમરી સ્કૂલોમાં અત્યારે એજ્યુકેશન સિસ્ટમ સાવ ભાંગી પડી છે. એક તરફ સરકાર ભણશે ગુજરાત ના મોટા નારા આપે છે, બીજી તરફ સુરતની ગ્રાન્ટેડ સ્કૂલોમાં RTEના નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે. 190 શિક્ષકોના મહેકમ સામે 90 શિક્ષકની ઘટ નોંધાતા PTR એટલે પ્યુપિલ-ટીચર રેશિયો 75:1 પર પહોંચ્યો છે. સુરત જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘે આ બાબતે સ્ટેટ પ્રાયમરી એજ્યુકેશન ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી કાયમી સોલ્યુશનની માંગ કરી છે. ઉપરાંત પત્રમાં લખ્યું છે કે 6700 વિદ્યાર્થીઓના એજ્યુકેશન અને કેરિયરને જોતા જો તાત્કાલિક પરમેનન્ટ રિક્રુટમેન્ટ નહીં થાય તો આ સ્કૂલોને શિક્ષણ સમિતિમાં ભેળવી દેવાની પણ માંગ કરી છે. પરમેનન્ટ રિક્રુટમેન્ટ રેગ્યુલર થવી જોઈએ પરંતુ 2016થી એકપણ થઈ નથી જિલ્લા શિક્ષક સંઘે શિક્ષણ નિયામકને પત્ર લખ્યો કે ‘કાયમી ભરતી કરો અથવા સ્કૂલોને શિક્ષણ સમિતિમાં મર્જ કરી દો’ 20 જ્ઞાન સહાયકે રાજીનામું આપતા 21 ગ્રાન્ટેડ સ્કૂલનું શિક્ષણ ખોરવાયું, 6700 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું ભાસ્કર ઈનસાઈડઆ 3 મેઈન કારણોથી 21 ગ્રાન્ટેડ સ્કૂલોની હાલત કફોડી થઈ

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:06 am

નોકરી ન્યૂઝ:SBIમાં ડેપ્યુટી મેનેજર-VPની ભરતી, 45 લાખ સુધીનું પેકેજ

એસબીઆઇ ટેકનિકલ નિષ્ણાતો માટે 12 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી કરશે. જેમાં ડેપ્યુટી મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા મહત્વના પદો માટે B.E, B.Tech, M.E, M.Tech, M.Sc અને MCA પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં પસંદગી પામનારને વાર્ષિક રૂ. 45 લાખ સુધીનું પગાર પેકેજ મળશે. ઉમેદવારોએ 5 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. અનુભવ અને શોર્ટલિસ્ટિંગના આધારે ઇન્ટરવ્યુ દ્વારા ફાઈનલ પસંદગી કરાશે. આ રીતે કરો અરજી કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:02 am

પ્લાસ્ટિક મુક્ત નિરોણા:છાત્રાઓ દ્વારા પર્યાવરણ માટે લેવાયેલો સશક્ત કદમ

‘પ્લાસ્ટિક મુક્ત વિધાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા’ અભિયાન અંતર્ગત સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના આચાર્ય ડૉ વી.એમ.ચૌધરીના માર્ગદર્શન સાથે ઇકો ક્લબ ઓફિસર અલ્પેશ જાનીના સંકલનથી ધો.10ની જાનવી ગાગલે પોતાના 16મા જન્મદિવસને પરંપરાગત ઉજવણીથી અલગ રીતે ઉજવી સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. 16 પ્લાસ્ટિક બોટલમાં પ્લાસ્ટિકનો કચરો ભરી, તમામ બોટલ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળામાં વર્ગ શિક્ષકને જમા કરાવી હતી. આ પહેલથી પ્રેરણા લઈને ધો.11ની સુગરાબાઈ કુંભારે પણ પોતાનો જન્મદિવસ એ જ રીતે ઉજવી અભિયાનને આગળ ધપાવ્યું હતું. આ અભિયાનને વધુ વેગ આપતા ધો.9ની હેન્સી સીજુ અને ઝીલ નઝારે, ધો.10 રીંકુ નઝારની મદદથી પોતાની શેરીમાં પડેલી 127 ખાલી પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં જમા કરાવી હતી. એકત્રિત બોટલનો શાળા પરિવાર દ્વારા યોગ્ય નિકાલ કરાશે. એક દીકરીની વિચારશીલ પહેલથી શરૂ થયેલું આ નાનકડું અભિયાન હવે સામુદાયિક સ્વરૂપ ધારણ કરશે. ગામના નાગરિકો, વેપારી એસોસિએશન સ્વેચ્છાએ આ અભિયાનમાં જોડાઈ લોકભાગીદારીથી પ્લાસ્ટિક મુક્ત નિરોણાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરશે તેવી આશા સેવાઇ રહી છે. સરપંચ નરોત્તમભાઈ આહિરે આ હકારાત્મક પહેલને આવકારી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:01 am

MOU કરાયા:કેપી ગ્રુપે વાઈબ્રન્ટ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 4000 કરોડના MOU કર્યા

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં કેપી ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ MOU કરાયા. આ MOU હેઠળ રાજ્યમાં 4 મોટા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા આશરે ₹4,000 કરોડનું રોકાણ અને 4,275થી વધુ સીધી તથા પરોક્ષ રોજગાર તકો સર્જાશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:00 am

અમદાવાદીઓ સૌથી વધુ શેનાથી પરેશાન?:અહીં મુંબઈ-બેંગ્લોર જેવું થઈ ગયું છે, કલાક કલાક તો રાહ જોવી પડે છે, યુવાઓએ તો ભારે ઇસ્યૂ ઉઠાવ્યો

કોમનવેલ્થના હોસ્ટ બનેલા અમદાવાદમાં હવે ઘણાં ફેરફારો થવાનો આરંભ થઈ ગયો છે. જો કે સૌથી મહત્વની બાબત હોય તો એ છે સિવિક સેન્સ. આ ઉપરાંત ઘણી બધી બાબતોથી અમદાવાદીઓ પરેશાન છે. આ ઇસ્યૂઝને લઈ દિવ્ય ભાસ્કરે યુવાઓને પૂછ્યું કે, જો એક જ બદલાવ લાવવો હોય તો શું ચેન્જ લાવશો? જેમાં યુવાઓએ એક ગજબનો ઇસ્યૂ ઉઠાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:00 am

મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં ફાઈનલ મતદાન 52.94 ટકા

2017 ની તુલનાએ ઓછું મતદાન થયું ભાંડુપના વોર્ડ ૧૧૪માં સૌથી વધુ તો દક્ષિણ મુંબઈના વોર્ડ ૨૨૭માં સૌથી ઓછું મતદાન મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૨.૯૪ ટકા મતદાન નોંધાયું હોવાના ફાઈનલ આંકડા આજે જાહેર કરાયા હતા. ૨૦૧૭ની છેલ્લી ચૂંટણી દરમ્યાન ૫૫.૫૩ ટકા મતદાન થયું હતું.

ગુજરાત સમાચાર 17 Jan 2026 7:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:મંદિરો માત્ર પૂજા, ભક્તિભાવ પૂરતા સિમિત નથી, સંસ્કૃતિ અને સંસ્કારોનું મજબૂત કેન્દ્ર છે: સતશ્રી

સેવણી સતધામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા નૂતન મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંગોત્રીથી પૂજારી રવિન્દ્ર પ્રસાદ અને ભાવનગર જિલ્લાના સિહોર મોંઘીબાની જગ્યાના મહંત જીણારામ બાપુ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભૂમિ પૂજન સાથે બ્રહ્મ ચોર્યાસીમાં સતશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે બ્રાહ્મણોનું ખૂબ મોટું યોગદાન છે. સાધુ, બ્રાહ્મણ, ગાય, મંદિર અને શાસ્ત્ર આ પાંચનું રક્ષણ થશે તો જ વૈદિક સંસ્કૃતિની ગરિમા જળવાશે. સતધામ પરિસરમાં સૌપ્રથમ વિદ્યામંદિર, ગૌ મંદિર, સંસ્કાર મંદિર અને યજ્ઞ મંદિર તૈયાર થયા છે જેના માધ્યમથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ગાયોની સેવા, યજ્ઞ થાય છે અને સંસ્કાર મંદિરમાં બેસીને કથા, ભજન,કીર્તન થાય છે હવે ટૂંક સમયમાં ઈશ્વર મંદિર તૈયાર થશે. મંદિરો એ માત્ર સેવા પૂજા કરવા પૂરતા સિમિત નથી સંસ્કારો અને સંસ્કૃતિનું મજબૂત છત્ર છે. તે છત્રની નીચે સનાતન સંસ્કૃતિ ની મૂળભૂત પરંપરા પ્રમાણે અનેકવિધ ઉત્સવો ઉજવાશે 9 હજાર ચો. ફૂટમાં પિંક પથ્થરોથી કોતરણી કામવાળા મંદિરનું નિર્માણ થશેકોઠારી બાલકૃષ્ણ સ્વામી અને નિર્ગુણ સ્વામીએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેની વિધિ વિધાન અને વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે 9000 ચોરસ ફૂટ એરિયામાં રાજસ્થાનના બંસી પહાડપુરના પિંક પથ્થરોથી કોતરણી કામવાળું હજારો વર્ષોનુ આયુષ્ય ગણાય તેવું અત્યાધુનિક મંદિર નિર્માણ થશે. હજારો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:59 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:કચરા કૌભાંડમાં સોલિડ વેસ્ટ સહિત 16 અધિકારી-કર્મચારીઓની બદલી

કચરા કૌભાંડમાં પાલિકા કમિશનરે અગાઉ 5 ઉચ્ચ અધિકારીને શોકોઝ ફટકાર્યા બાદ હવે ખજોદ સાઈટ અને સોલિડ વેસ્ટ (SWM)ના 16 જેટલા અધિકારી-કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશ કર્યા છે. ડેપ્યુટી કમિશનરની સહીથી મોડી સાંજે બહાર પડેલા ઓર્ડરને પગલે પાલિકામાં ફફડાટ વ્યાપી ગયો છે. કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, આસી.ઇજનેરથી લઈને ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરો, સેનિટરી ઇન્સ્પેક્ટરો, એસએસઆઈ સોલિડ વેસ્ટમાંથી તમામને તગેડી મૂકાયા છે. ખજોદ સાઇટ ખાતે પ્રોસેસિંગ અને ડિસ્પોઝલની મલાઇદાર કામગીરી પર અત્યાર સુધી એક્ઝિક્યુટિવ સહિતના એન્જિનિયરોનો ઇજારો હતો. પરંતુ તમામ જવાબદારી આંચકી લઈ આરોગ્ય ખાતાના આરોગ્ય અધિકારી ડો. પ્રદિપ ઉમરીગર, અઠવા ઝોનના ડે. મેડિકલ ઓફિસર અને આસી. મેડિકલ ઓફિસરને હાલ જવાબદારી સોંપી છે. સોલિડ વેસ્ટ વિભાગમાં સામૂહિક બદલી આ ચીફ SI, SSIને સોલિડ વેસ્ટમાંથી હાંકી કઢાયા

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:57 am

ભૂકંપનો આંચકો:ભચાઉ-રાપરમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી

કચ્છમાં વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, તેવા સમયે જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના હળવા કંપનોનો દોર યથાવત રહેતા લોકોમાં ચિંતાનું ફેલાઈ છે. ગત 13 જાન્યુઆરીના ધોળાવીરા નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ શુક્રવારે વાગડ પંથકમાં એક જ દિવસે બે હળવા કંપનો અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે પરોઢે 05:47 વાગ્યે રાપરથી અંદાજે 19 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં નારાણપર–ખેંગારપર રોડ પર આવેલા મોમાઈ માતાજીના મંદિર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ આંચકાની તીવ્રતા 2.5 નોંધાઈ હતી અને ભૂકંપ જમીનની અંદાજે 11.1 કિલોમીટર ઊંડાઈએ થવાથી લોકો સુધી તેની અસર ખાસ અનુભવાઈ ન હતી. તે જ દિવસે બપોરે 01:50 વાગ્યે ભચાઉથી ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપી કંપન નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખારોઈ–કકરવા રોડ પર આવેલા ધનુશ્વર મહાદેવ મંદિર નજીક નોંધાયો હતો. નાના કંપનો ભૂકંપીય ઊર્જા મુક્ત થવાનો સંકેત હોઈ શકે છે, છતાં પ્રશાસન અને નાગરિકોને ભૂકંપ સુરક્ષા અંગે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:56 am

સ્નેહમિલન:સાર્વજનિક કુમાર છાત્રાલયમાં ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન

શહેરની લાલ ટેકરી પાસે આવેલી અને રાજાશાહી સમયમાં સન 1933માં સ્થપાયેલી કચ્છની ઐતિહાસિક ‘સાર્વજનિક કુમાર છાત્રાલય’ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન આગામી તારીખ 18-01-ના રોજ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયનો ઈતિહાસ ગૌરવવંતો રહ્યો છે. રાજાશાહી સમયમાં પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે આ છાત્રાલય કાર્યરત હતી. 1952થી 2025 સુધીના તમામ વિદ્યાર્થીઓની યાદી અહીં ઉપલબ્ધ છે. સ્નેહમિલન સાથે છાત્રાલયમાં નવનિર્મિત ડાયનિંગ હોલ અને રસોડાનું ઉદઘાટન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે, જેઓ પોતે આ છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને જિ.પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ મારવાડા પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના પ્રમુખ રમેશ ભટ્ટીએ યાદીમાં જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટ દ્વારા અંજારમાં ઠક્કરબાપા વિદ્યાર્થી આશ્રમ પણ ચલાવવામાં આવે છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભુજ અને અંજાર ખાતે નવા અદ્યતન શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે સંકલ્પલેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:53 am

રાજકીય વિવાદ થતાં સ્ટેન્ડિંગનો નિર્ણય:સુમન સ્કૂલનું સ્થળ બદલવાની દરખાસ્ત અંતે રદ, વર્ક ઓર્ડર વિના કેવી રીતે કામ શરૂ કરાયું તેની તપાસ થશે

સુમન સ્કૂલના નિર્માણ માટે કતારગામમાં વર્ક ઓર્ડર મળ્યા બાદ બારોબાર ડભોલીમાં બાંધકામ શરૂ કરી દેવા મુદ્દે ભાજપ કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચેની ખેંચતાણ સરકાર સુધી પહોંચે તે પહેલાં શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીએ ચેન્જ ઓફ સાઇટની દરખાસ્ત મુલતવી રાખી છે. સાથે જ મંજૂરી વગર ડભોલીમાં બાંધકામ કેવી રીતે શરૂ કરાયું તે અંગે જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા હતા. ઉપરાંત બાંધકામ પર રોક લગાવી કતારગામમાં જ સ્કૂલ બનાવવાની તૈયારી દર્શાવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે કહ્યું કે વૉર્ડ નં-7 કતારગામની 31 સોસાયટીના રહીશોએ સ્કૂલ જૂના સ્થળે કતારગામમાં જ બનાવવા લેખિત માંગ કરી છે. તેથી હવે સ્થાનિકોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે. આ સાથે જ જૂના સ્થળે ઝડપથી સ્કૂલ નિર્માણ શરૂ કરવાનો પણ આગ્રહ દર્શાવાયો હતો. ધારાસભ્ય વિનુ મોરડિયાએ નવા સ્થળની ભલામણ કરી હતી, CMએ ફોન કરી કહ્યું, વિવાદ થયો છે, દરખાસ્ત મુલત્વી રાખોધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્કૂલનું સ્થળ બદલવા ભલામણ કરીને વર્ક ઓર્ડર વિના ડભોલીમાં ફાઉન્ડેશન પૂર્ણ થવા સુધી ઝોન અધિકારીઓ કેમ અજાણ રહ્યા તે પ્રશ્ન બેઠકમાં ઊઠ્યો હતો. જો કે, મુખ્યમંત્રીએ ફોન કરીને કહ્યું હતું કે, સ્કૂલના સ્થાનાંતરને લઈ વિવાદ થયો છે, જેથી દરખાસ્તને મુલત્વી રાખો. જો કે, ડભોલીમાં બાંધકામ શરૂ થતાં ઝોન અધિકારીઓની કામગીરી પણ શંકાના ઘેરામાં છે. આ મુદ્દે તપાસના આદેશ આપીને અધિકારીઓની ભૂમિકા અંગે રિપોર્ટ કરવા પણ તાકીદ કરાઇ હતી. નવું સ્થળ રદ કરાવવા આપનાં ધરણાં, નવું રાખવા ભાજપ મેદાનમાંસ્કૂલનું લોકેશન બદલી કાઢવા મુદ્દે ડો. કિશોર રૂપારેલિયાએ ગુરુવારે સ્થાયી ચેરમેનની ચેમ્બર બહાર વિપક્ષના વિરોધ પ્રદર્શન સાથે વિરોધ કર્યો હતો બાદ તેઓ ત્યાં જ આખી રાત ધરણા પર બેસી રહ્યાં હતા. સાથે કોર્પોરેટર દીપ્તિ સાકરીયા પણ હતા. આપ નેતા પાયલ સાંકરિયાએ કહ્યું કે, આપના વિરોધને પગલે શાસકોએ ઝુંકવું પડ્યું છે અને સ્ટેન્ડિંગની બેઠકમાં શાળા ફેરબદલી કરવાની દરખાસ્તને મુલતવી રાખવી પડી છે. જો કે બીજીતરફ, સ્કૂલનું સ્થળ નવું જ રાખવા ભાજપની લોબી મેદાનમાં પડી હતી. રાજકીય તણાવ એટલો વધી ગયો કે મેયર કક્ષમાં માજી વૉર્ડ પ્રમુખ અને કોર્પોરેટરો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમણે કોર્પોરેટરો પર મનમાનીના આક્ષેપ કર્યા હતા, જવાબમાં સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે 2 વર્ષ અગાઉ માજી વૉર્ડ પ્રમુખે પોતે ટેકો આપ્યો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:52 am

સિટી એન્કર:સાયબર ફ્રોડની 300 ફરિયાદો વચ્ચે કંકોત્રીથી જાગૃતિ લાવવા પ્રયાસ લગ્નમાં આવનાર પ્રણ લેશે ‘નામ, ફોન, બર્થડેના પાસવર્ડ નહીં રાખું’

લગ્નસરા વચ્ચે કેટલાંક લગ્ન એવાં પણ લેવાઈ રહ્યાં છે, જેમાં સામાજિક, આર્થિક અને વૈચારિક રીતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હોય. આવા જ એક લગ્ન સીમાડા રહેતા અને વ્યવસાયે વકીલના લેવાઈ રહ્યા છે, જેમાં સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો છે. આમંત્રિતોને સાયબર પ્રતિજ્ઞા લેવા કહેવાયું છે, જેમાં 7 મુદ્દા છે. કંકોત્રીમાં જ માહિતી આપી છે કે સાવચેતી રાખીને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય. શહેરમાં દોઢ વર્ષમાં 300થી વધુ ફરિયાદ દાખલ થઈ છે. એડવોકેટ પિયુષ માંગુકિયાના આ લગ્નમાં આવનાર પ્રણ લેશે ‘ હવેથી નામ, ફોન કે બર્થડે પરથી પાસવર્ડ નહીં રાખું’ તાજેતરમાં જ 5 હજાર કરોડના ગુનાતાજેતરમાં જ સાયબર ક્રાઇમની જે ફરિયાદ દાખલ થઈ એમાં પાંચ હજાર કરોડનું કાંડ હતુ. એક હજાર કરોડ કે બે હજાર કરોડની પણ ઘણી ફરિયાદો થઈ છે. લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પણ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા છે. પ્રસંદ યાદગાર બને, લોકો જાગૃત થાયચિંતન વિરાણી કહે છે કે, સામાન્ય રીતે લગ્નમાં લોકો વરવધુને આશીર્વાદ આપીને છુટા થાય છે, પરંતુ સાયબર ક્રાઇમની પ્રેક્ટિસ સાથે જોયું કે ઠગ લોકોને સરળતાથી છેતરે છે. આથી શુભ પ્રસંગે લોકોને જાગૃત કરવાનો વિચાર આવ્યો અને કંકોત્રીમાં જ વિગતો લોકોના ઘર સુધી પહોંચાડી. આ 7 મુદ્દા પરથી સાયબર પ્રતિજ્ઞા લેવાશે

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:50 am

જાગૃત લોકોએ રજૂઆત કરતા પાલિકાએ ભૂલ સ્વિકારી:દાદા-દાદી પાર્ક પાસે રોડ, ડિવાઈડર સમાંતર થવાથી અકસ્માતનો ભય

શહેરના દાદા-દાદી પાર્ક અને રામધૂન વિસ્તારમાં નવનિર્મિત રોડની કામગીરીમાં થયેલી ટેકનિકલ ક્ષતિના કારણે સર્જાયેલી અકસ્માતની સમસ્યા અંગે તંત્ર દ્વારા પગલા લેવાની ખાતરી અપાઇ છે. અહીં જૂના રોડને ખોદ્યા વિના જ નવો ડામર રોડ બનાવી દેવાતા રોડની ઊંચાઈ ડિવાઈડરની સમાંતર થઈ ગઈ હતી. આ બેદરકારીના કારણે ડિવાઈડરની અસરકારકતા શૂન્ય થઈ જતાં વાહનચાલકો આડેધડ વાહનો હંકારતા હતા અને વણાંકો પર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું હતું, જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે જાગૃત નાગરિક મિતેષભાઈ શાહે નગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું. તેમણે ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર અને નગરસેવક મનુભા જાડેજાને રૂબરૂ સ્થળ પર બોલાવી પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. ગંભીરતાને ધ્યાને લઈ, ઉપપ્રમુખે ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે ડિવાઈડરની ઊંચાઈ વધારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:50 am

સિટી એન્કર:ગુજરાત વતી માધાપરની પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો

બિહારના પટના ખાતે ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગોલબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની પાંચમી નેશનલ ગોલબોલ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું. તા. 11થી 13 જાન્યુઆરીના આયોજિત આ સ્પર્ધામાં ગુજરાત વતી માધાપરની નવચેતન અંધજન મંડળની મહિલા ટીમે શાનદાર રમત પ્રદર્શિત કરી ગુજરાત અને કચ્છનું ગૌરવ વધાર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરમાંથી ભાઈઓની 16 અને બહેનોની 11 ટીમોએ પાટલીપુત્ર સ્ટેડિયમ પર ભાગ લીધો હતો. માધાપર સ્થિત નવચેતન અંધજન મંડળની મહિલા ટીમ જેમાં જયશ્રી આહિર, પ્રિયાંશી જાડેજા, નયના પઢીયાર, અસ્મિતા ચાવડા, ભૂમિકા ગોંડલીયા અને મમતા ઠાકોરની ટીમે ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં તમિલનાડુને પરાજય આપી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગુજરાતની ટીમને સેમીફાઇનલમાં મહારાષ્ટ્ર સામે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભાઈઓની ટીમ ગ્રુપ લેવલમાં બીજા ક્રમે રહી હતી, પરંતુ સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી શકી નહોતી. આ ટુર્નામેન્ટ દ્વારા માત્ર ખેલાડીઓજ નહીં પરતું માર્ગદર્શકોએ પણ સિદ્ધિ મેળવી હતી. ગોલબોલ રમતને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાના બે કર્મચારીઓ રસીલાબેન હીરાણી અને દિલીપ પાંડવે રેફરી માટેનો ‘લેવલ વન’ કોર્સ પૂર્ણ કર્યો હતો અને ટુર્નામેન્ટ દરમિયાન રેફરી તરીકે પોતાની સેવાઓ આપી હતી. ટીમની સફળતા પાછળ કોચ નીરવ ડાક, શંકરભાઈ પ્રજાપતિ અને ભક્તિબેન ત્રિવેદીનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન સંસ્થાના મંત્રી હિમાંશુ સોમપુરાએ આયોજન સમિતિના સભ્ય તરીકે ઉપસ્થિત રહીને મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતની ટીમની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ કાનજી ગડા, ઉપપ્રમુખ હિરાલાલ આર. ચાવલા, જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, ખજાનચી ઝીણાભાઈ ડબાસીયા, મંત્રી વનરાજસિંહ જાડેજા તથા હિમાંશુ સોમપુરા તેમજ દિવ્યાંગ સ્પોર્ટ્સના સહમંત્રી દેવરામભાઈ ઢીલાએ તમામ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:49 am

મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો:108 એમ્બ્યુલન્સને ઉતરાયણ પર્વે 360 મેડિકલ ઇમર્જન્સી કોલ મળ્યા

ઉતરાયણ પર્વ દરમિયાન કચ્છ સહિત રાજ્યભરમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પર મેડિકલ ઇમર્જન્સી કોલોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તહેવારની ઉજવણી દરમિયાન પતંગબાજી, ધાબા પર ચઢવાનું અને વધેલા વાહન વ્યવહારના કારણે અકસ્માતોના બનાવો વધતા 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ બે દિવસમાં કુલ 360 ઇમર્જન્સી કોલ પ્રાપ્ત થયા હતા. ] પ્રાપ્ત માહિતી મુજબ 14 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસે 180 ઇમર્જન્સી કોલ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 30.22 ટકા વધુ હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 150 જેટલા કોલ મળતા હોય છે. આ દિવસે રોડ ટ્રાફિક એક્સિડન્ટના 55 કોલ, ધાબા પરથી કે પતંગના દોરાથી અથવા અન્ય રીતે પડી જવાના 32 કોલ અને પતંગના દોરાથી કપાઈ જવાના 6 કોલ નોંધાયા હતા. તે જ રીતે 15 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 180 કોલ પ્રાપ્ત થયા હતા. જેમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટના 28 કોલ, ધાબા પરથી કે અન્ય રીતે પડી જવાના 10 કોલ અને પતંગના દોરાથી કપાઈ જવાનો 1 કોલ સામેલ હતો. બંને દિવસોને મળીને કુલ 360 ઇમર્જન્સી કોલ મળ્યા હોવાનું 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડૉ. ભવર પ્રજાપતિએ જણાવ્યું હતું. આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન તહેવાર સંબંધિત મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો થયો છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:47 am

પસંદગી પ્રક્રિયા:ગણિત-વિજ્ઞાનના ઉમેદવારો માટે 22મીએ સ્થળ પસંદગી પ્રક્રિયા

કચ્છ જિલ્લામાં ધોરણ 6 થી 8 માટે વર્ષ 2025 ની વિદ્યાસહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના ઉમેદવારો ગત તા. 27/11/2025 થી 01/01/2026 દરમિયાન જિલ્લા પસંદગી કરી છે, તેઓ માટે શાળા અને સ્થળ પસંદગી તેમજ નિમણૂંક ઓર્ડર મેળવવાની પ્રક્રિયા આગામી તા. 22/01/2026 ના રોજ સવારે 9:00 કલાકે માધાપર મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરાયેલી આ સૂચના મુજબ, લાયક ઉમેદવારોએ ડોક્યુમેન્ટ ચકાસણી અને નિમણૂંક પત્ર મેળવવા માટે નિયત સમયે અને સ્થળે અચૂક હાજર રહેવું પડશે અને જો કોઈ ઉમેદવાર આ પ્રક્રિયામાં ગેરહાજર રહેશે, તો તેઓ ભવિષ્યમાં શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો હકદાવો કરી શકશે નહીં તેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે કચ્છની ખાસ ભરતી માટેની પ્રક્રિયા દરમિયાન જિલ્લાને ધોરણ 6થી 8માં ભાષાના શિક્ષકોની ભરતી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છને 494 શિક્ષકો મળે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:46 am

નિયમોના ધજાગરા:બ્લેક કાર–થારમાં બ્લેક ફિલ્મ, હજુ એવા જુવાનિયા છે કે જે ગર્વ લે છે

ખાનગી વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવાના નિયમોને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા કડક અમલ કરવામાં આવે છે. માર્ગ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુસર ખાનગી કારમાં બ્લેક ફિલ્મ લગાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. માત્ર મર્યાદિત પ્રમાણમાં પારદર્શક ફિલ્મ જ સ્વીકાર્ય ગણાય છે. પોલીસ તપાસ દરમિયાન જો વાહનમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ મળી આવે તો ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ભુજમાં પ્રમાણમાં કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતી ઓછી દેખાય છે, પરંતુ ખાસ કરીને બ્લેક કલરની થાર, સ્કોર્પિયો કે અન્ય કારમાં નંબર પ્લેટ ન હોવી અને બ્લેક ફિલ્મ લગાવવી તે અમુક વર્ગ માટે ગર્વ હોય તેમ ફરે છે. પોલીસ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ જો ફિલ્મ ઉતારી નાખવામાં આવે તો પણ તરત જ કાર ડેકોરા શોપમાં જઈને ફરીથી લગાવી આવે છે. નિયમ મુજબ હાઈ પ્રોફાઇલ સરકારી અધિકારીઓ, ન્યાયાધીશો, ચોક્કસ પોલીસ અધિકારીઓ તેમજ Z અને Z+ સુરક્ષા ધરાવતા વ્યક્તિઓને વિશેષ છૂટછાટ આપવામાં આવે છે. જોકે આ છૂટછાટ પણ સુરક્ષા એજન્સીની ભલામણ અને સરકારની સ્પષ્ટ મંજૂરી બાદ જ આપવામાં આવે છે. સામાન્ય નાગરિકો માટે આવા નિયમો લાગુ પડતા નથી. જાહેર માલિકીના તેમજ ખાનગી વાહનો માટેના નિયમ મુજબ આગળ અને પાછળના કાચની વિન્ડશિલ્ડમાં ઓછામાં ઓછું 70 ટકા દૃશ્યતા હોવી ફરજિયાત છે, જ્યારે બાજુના કાચમાં 50 ટકા દૃશ્યતા જરૂરી છે. આ કરતાં ઓછી પારદર્શિતા ધરાવતી કોઈ પણ ફિલ્મ ગેરકાયદેસર ગણાય છે. બ્લેક ફિલ્મ લગાવવાના ગુનામાં શહેર અને ગુનાની ગંભીરતા પ્રમાણે દંડ નક્કી થાય છે. સામાન્ય રીતે પહેલો દંડ 500 થી 1000 રૂપિયા સુધીનો હોય છે. વારંવાર ઉલ્લંઘન કરનાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:45 am

ભાસ્કર એક્સક્લુઝિવ:15 હજાર લોકોને ડ્રેનેજ સમસ્યામાંથી મળશે મુક્તિ

ભુજ શહેરના સંસ્કારનગર વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન કોલોનીમાં ગટરના પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાતી રહી છે. ભારે વરસાદ પડતા નિકાસ વ્યવસ્થા નિષ્ફળ બનતી હોવાથી રહેવાસીઓએ અનેક વખત દુષિત પાણી, દુર્ગંધ અને આરોગ્ય જોખમોનો સામનો કરવો પડતો હતો. આ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભુજ નગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એરપોર્ટ રીંગરોડથી ત્રિપુરા સુંદરી સર્કલ થઈને કોમર્સ કોલેજ ત્રિવેટે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવનાર છે. આ લાઈન પડતા ભુજના વોર્ડ નંબર 6, 7 અને 8ના અંદાજે 15,000 લોકોને મોટો લાભ મળશે. કોમર્સ કોલેજ ક્વાર્ટરથી ત્રિપુરા સુંદરી સર્કલ થઈને ત્રિમંદિર સુધી મુખ્ય લાઈન સાથે જોડીને વૈકલ્પિક ડ્રેનેજ લાઈન નાખવાનું નક્કી કરાયું છે. આ માટે અંદાજે રૂ. 8 કરોડનો ખર્ચ કરાશે. ભુજમાં અગાઉ ઘણી વખત ડ્રેનેજ લાઈનોના કામ થયા હોવા છતાં, જૂની લાઈનોમાં થતી ટેકનિકલ ખામીઓના કારણે સમસ્યા યથાવત રહી હતી. આ વખતે નગરપાલિકાએ જૂની લાઈન સાથે માત્ર પેચવર્ક કરવાને બદલે સંપૂર્ણ નવી અને આધુનિક ડ્રેનેજ લાઈન બિછાવીને સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી અનિલ જાદવએ જણાવ્યું હતું કે, સંસ્કારનગર તરફ જતી ડ્રેનેજ લાઈન આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી પણ ડ્રેનેજમાં સામેલ થઈ જતું હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા વિકટ બની છે. તેનો ઉકેલ લાવવા માટે એરપોર્ટ તરફ જતી મુખ્ય ડ્રેનેજ લાઈનમાં કનેક્શન આપવામાં આવશે. ઇજનેરો દ્વારા આયોજનબદ્ધ રીતે નવી લાઈનને કોમર્સ કોલેજ પાસે આવેલી લાઈન સાથે જોડીને વધારાનું પાણી એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં જ કામગીરી શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સંસ્કારનગર વિસ્તારમાં રહેતા અનેક પરિવારોને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે, વોર્ડ નં. 6,7 અને 8ના રહેવાસીઓને થશે રાહતનગરસેવક તથા સત્તાપક્ષના નેતા કમલભાઈ ગઢવીએ જણાવ્યું કે આ નવી ડ્રેનેજ લાઈનથી ચોમાસા દરમિયાન ગટરની સમસ્યા હળવી બનશે. ખાસ કરીને ઉમેદ નગર, સંસ્કાર નગર, કૈલાશ નગર, ગણેશનગર અને ગાયત્રી મંદિર તરફ જતા વિસ્તારોના રહેવાસીઓને આ યોજના થકી રાહત મળશે. નગર પાલિકા દ્વારા અગાઉ અનેક વખત મંગલમ સર્કલ સુધીની ડ્રેનેજ લાઈન મરમ્મત કરી છે. પરંતુ ઉકેલ આવ્યો નથી. કોમર્સ કોલેજથી ત્રિમંદિર સુધી ડ્રેનેજ લાઈન નખાતા આ વિસ્તારના અનેક પરિવારોને રાહત થશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:40 am

ધમકી આપી:રાજકોટની સદર બજારમાં માંસના ધંધાર્થી યુવાનને ગૌરક્ષકની ધમકી

સદર બજાર ખાટકીવાડમાં રહેતા આસિફભાઇ અબ્બાસભાઇ બેલીમએ પ્ર.નગર પોલીસ મથકમાં ભાવિન પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આસિફભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ખાટકીવાડમાં માંસ વેચવાનો ધંધો કરે છે. ગત તા.10ના રોજ તે પોતાના ઘરે હતા ત્યારે ભાવિન પટેલ જે ગૌરક્ષક છે તેણે ફોન કરી ફરિયાદીને યાજ્ઞિક રોડ પર બાપા સીતારામના ઓટા પાસે બોલાવતા તે ત્યાં ગયા ત્યારે આ ભાવિને તેને વાત કરી કે “તારી ગાડીમાં જીપીએસ નખાવી દેજે’ તો તેણે ભાવિનને કહ્યું કે, કેમ જીપીએસ નાખવાનું કહો છો? તો ભાવિને કહ્યું કે, તું ગાડીમાં ઢોર ભરીને કેટલા ફેરા મારશ તેની મને ખબર પડે છે, તમે વધારે ફેરા મારો છો અને રૂપિયા ઓછા આપો છો એટલે તને જીપીએસ નાખવાનું કહું છું અને જો ગાડીમાં જીપીએસ નહીં નાખે કે વધુ રૂપિયા નહીં આપે તો તને મારી નાખીશ. આ અંગે યુવકે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:33 am

દુષ્કર્મનો મામલો આવ્યો સામે:આરોગ્યકેન્દ્રના હેલ્થ વર્કરે સાથી મહિલા કર્મચારીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પરિણીત છે અને તેની સાથે સમુદાય આરોગ્યકેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો આરોપી પણ પરિણીત છે, બંને સાથે નોકરી કરતાં હોય પરિચયમાં હતા અને આરોપી હેલ્થ વર્કરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ હેલ્થ વર્કર મહિલાને કોઇને કોઇ બહાને અલગ અલગ સ્થળે લઇ જતો હતો અને ત્યાં મહિલાની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. હેલ્થ વર્કર સાથી કર્મચારીના કરતૂતથી મહિલા ત્રાહિમામ થઇ ગઇ હતી, પતિ કે પરિવારના કોઇ સભ્યોને આ બાબતે જાણ થશે તો તેનો સંસાર ભાંગી પડશે તેવી ભીતિથી મહિલા આ ત્રાસ સહન કરતી હતી પરંતુ હેલ્થ વર્કરનો ત્રાસ સતત વધતો જતો હતો અને તે મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી સતત તેના પર દુષ્કર્મ આચરતો હોવાથી અંતે મહિલાએ હેલ્થ વર્કર સાથે સંબંધ તોડી નાખ્યા હતા. મહિલાએ સંબંધ તોડતા હેલ્થ વર્કરે મહિલાને સંબંધ રાખવા માટે ધમકી આપવાનું શરૂ કરતાં અંતે મહિલાએ પોલીસનું શરણું લીધું હતું, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:33 am

મંદિરમાં ચોરી:કુવાડવા નજીક આવેલા ખેરડીના મંદિરમાંથી રૂ. 1.92 લાખની ચોરી

રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે હવે તસ્કરોએ ઘર-મકાન બાદ મંદિરોને નિશાને બનાવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરીની શોધખોળ હાથ ધરી છે. ખેરડી ગામ રહેતા ખીમજીભાઈ સોમાભાઈ નકુમે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે નદીના કાંઠે મશાણી મેલડી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં મારા પિતા સવાર-સાંજ આરતી તથા દીવાબત્તીનું કામ કરે છે. ગઈકાલ પિતાએ મને ફોન કરી મંદિરમાં ચોરી થયેલ હોવાની વાત કરેલ જેથી હું મંદિરે જઈ જોતા દરવાજાના નકુચા તુટેલી હાલતમાં જોવા મળેલ જેથી અંદર જઈ તપાસ કરતા માતાજીની મૂર્તિ પરનો ચાંદીનો મુંગટ તથા ચાંદીના છત્તર, મંદિરમાં લગાડેલા સીસીટીવીનું ડીવીઆર સહિતનું જોવા ન મળતા કુલ રૂ.1.92 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ રજીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જી.સોલંકીએ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:32 am

ઠપકાનો ખાર રાખી હુમલો કરાયો:કોઠારિયા સોલવન્ટમાં પાલતુ શ્વાન મુદ્દે પાડોશીઓ બાખડ્યા

કોઠારિયા સોલવન્ટમાં શ્વાન બાબતે આપેલ ઠપકાનો ખાર રાખી 4 મહિલા સહિત 10 શખ્સએ છરી, પાઇપ અને ધોકાથી યુવાન ઉપર હુમલો કર્યો હતો. શહેરના કોઠારિયા સોલવન્ટમાં હુસેની ચોક પાસે રહેતી મુસ્કાનબેન ઇબનેમભાઇ ફારૂકીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી વીકી, સંજય પાડલિયા, ગોગો, વીકીનો ભાઇ રોકી, મનીષ ઉર્ફે કકુ, રવિરાજ કાઠી, જનકો કબુતરવાળો, વીકીની પત્ની, મનીષ ઉર્ફે કકુની બે બહેનો તથા મનીશ ઉર્ફે કકુની માતા જસુબેનના નામ આપ્યા હતા. તેણીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ બંને રાત્રે ઘરે હતા ત્યારે તેની શેરીમાં રહેતા વિકી તથા તેનો ભાઈ રોકી તથા તેમનો મિત્ર સંજય પાડલિયા તથા ગોગો તથા મનીષ ઉર્ફે કકુ તથા રવિરાજ કાઠી તથા જનકો કબુતરવાળો તથા વિકીના પત્ની તથા કકુની બે બહેનો તથા તેઓની માતા જશુબેન તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. ગાળો બોલતા તેણીના પતિ ઇબનેમએ ગાળો બોલવાની ના પાડતા ધોકા વડે હુમલો કર્યો હતો અને વીકી તથા સંજય પાડલિયાએ છરી કાઢી તેના પતિના છાતીના ભાગે છરીનો ઘા મારતા પોતે રાડારાડી કરવા લાગી હતી અને પડોશીઓ છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર માર્યો હતો. આ મારામારી થવાનું કારણ એ હતું કે,ગત તા.14/01ના રોજ તેમણે વીકીના પત્ની તથા માતા તેઓના પાલતુ શ્વાનને ઘર પાસે શાૈચક્રિયા કરાવતા હોય જે બાબતનો ઠપકો આપતા આ બાબતનો ખાર રાખી યુવક અને તેના પરિવાર પર હુમલો થયાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:31 am

નાગરિકોની ગોપનીયતાના અધિકારનો ભંગ થયો:રાજકોટ મહાનગરપાલિકાની ક્રૂરતા, બાકીદારોની આબરૂનું ધોવાણ કરી યાદી વેબસાઇટ પર મુકી

રાજકોટ મનપાએ તા. 15ના રોજ યોજેલી ટેક્સ મેગા રિકવરી ડ્રાઈવમાં એક જ દિવસે 378 મિલકતો સીલ કરી હતી તેમજ 485 મિલકતો સામે કાર્યવાહી કરીને રૂ. 4.92 કરોડની વસૂલાત કરી હોવાનો દાવો કર્યો છે. વસૂલાતના આ આંકડા પ્રશાસનિક દ્દષ્ટિએ નોંધપાત્ર ગણાય, પરંતુ આ સફળતાની પાછળ અપનાવવામાં આવેલી પદ્ધતિએ નાગરિકોમાં ગંભીર અસંતોષ અને ચિંતા જગાવી છે. ખાસ કરીને બાકીદારોની વિગતવાર યાદી મનપાની વેબસાઈટ પર જાહેર કરવાથી નાગરિકોની આબરૂ અને ગોપનીયતા અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. વેરા વસૂલાત એ મનપાની કાયદેસર ફરજ છે તેમાં કોઈ વાદ નથી. પરંતુ બાકીદાર નાગરિકોના નામ, મિલકત વિગતો અને બાકી રકમ જાહેરમાં મૂકીને ‘નામ ઉઘાડા’ની નીતિ અપનાવવી લોકશાહી વ્યવસ્થાને અનૂકૂળ નથી. મનપા પાસે પહેલેથી જ કાયદાની જોગવાઈઓ મુજબ નોટિસ, સીલ, પાણી કનેકશન કપાત અને હરાજી જેવા વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે વેબસાઈટ પર નામ જાહેર કરવું શું જરૂરી હતું? પારદર્શકતાના નામે ગોપનીયતાનો ભંગ કરવો યોગ્ય નથી. આ પ્રકારની કાર્યવાહીથી નાગરિકો અને શાસન વચ્ચે વિશ્વાસનું અંતર વધે છે. રૂ. 4.92 કરોડની વસૂલાતથી શહેરના વિકાસકાર્યોને ગતિ મળશે, પરંતુ જો તે માનવ સંવેદના અને નાગરિકોની પ્રતિષ્ઠાને બાજુ પર રાખીને થાય તો એવી સફળતા પ્રશ્નાર્થ બની જાય છે. રાજકોટના નાગરિકો આજે મનપાથી માત્ર કડક નહીં, પરંતુ સંવેદનશીલ અને સંતુલિત શાસનની અપેક્ષા રાખે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:30 am

વૃદ્ધાનું કરૂણ મોત:મિલપરામાં 100 વર્ષના વૃદ્ધાનું પહેલા માળેથી પડી જતાં મોત

શહેરના મિલપરામાં શેરી નં.13માં રહેતા 100 વર્ષના વયોવૃદ્ધાનું પહેલા માળની અગાસી પરથી પડી જતા તેને ઇજા થતા મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ મિલપરા શેરી નં.13માં રહેતા કંકુબેન મનજીભાઇ મંજુરાસ(ઉં.વ.100)નું ગુરુવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળે અગાસી પરથી પડી જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. વૃદ્ધાને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એમ. મકવાણા સહિતના સટાફે તપાસ હાથ ધરી હતી. મૃતક કંકુબેનને ચાર પુત્ર અને ચાર પુત્રી છે. વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:29 am

નિવૃત્ત એએસઆઈના પુત્ર-પુત્રવધૂ વિરુદ્ધ રાવ:ASIની પત્ની પાસેથી પ્રસંગમાં પહેરવા રૂ.9.81 લાખના દાગીના લઇ પરત ન કર્યા

પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા એએસઆઈની પત્ની પાસેથી ક્વાર્ટરની સામે જ રહેતા અન્ય નિવૃત્ત એએસઆઈના પુત્ર અને પુત્રવધૂએ લગ્ન પ્રસંગમાં જવાનું કહી ઘરેણાં પહેરવા માટે માંગ્યા બાદ એએસઆઈની પત્નીએ ઘરેણાં પરત માંગતા યેનકેન બહાના બતાવ્યા અને છેલ્લી વાર મદદના બહાને વધુ ઘરેણાં પડાવ્યા બાદ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદીએ તેના એએસઆઈ પતિની જાણ બહાર ઘરેણા આપ્યા હતા, પતિને મોઢાનું ચોથા સ્ટેજનું કેન્સર હોય જેથી બનાવ જાણી પતિને આઘાત ન લાગે તે હેતુથી અંત સુધી કરો નહોતી પરંતુ અંતે ઘરેણા પરત નહી આવે એવું જણાતા મહિલાએ પતિને બનાવની જાણ કરતા દંપતી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના અને હાલ રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટર, દસ માળિયા, એ.એસ.આઈ. બિલ્ડિંગ ક્વાર્ટર નં.101માં રહેતા છાયાબા ઇન્દ્રજીતસિંહ ઝાલા(ઉં.વ.32) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોલેક્ષ રોડ સાઈબાબા સર્કલ પાસે રહેતા સાગર જીવરાજભાઈ મકવાણા, તેની પત્ની બીનાબેન સાગર મકવાણા તેમજ તપાસમાં ખુલ્લે તેના નામ આપ્યા હતા. છાયાબા ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓ વર્ષ 2022થી રાજકોટ ખાતે રહે છે. તેમના સામેના બ્લોકમાં જીવરાજભાઈ સવજીભાઈ મકવાણા રહેતા હોય જેઓ પણ પોલીસમાં એએસઆઈ તરીકે નોકરી કરતા હોય આ જીવરાજભાઈ વર્ષ 2025માં જૂન મહિનામાં નિવૃત્ત થયા હતા અને હાલમાં તે સાઈબાબા સર્કલ પાસે સર્વેશ્વર સોસાયટીમાં રહે છે. આ જીવરાજભાઈના નાના પુત્ર સાગર અને તેની પત્ની બીનાબેનને છાયાબાના પતિ ઇન્દ્રજીતસિંહે બહેન બનાવેલ હોય જેથી દર વર્ષે બીનાબેન રાખડી બાંધવા પણ ઘરે આવતા હતા. આમ બંને પરિવાર પારિવારિક સબંધ ધરાવતા હતા. જે દરમિયાન વર્ષ 2022માં છાયાબાના પતિ ઇન્દ્રજીતસિંહને મોઢાનું કેન્સર થયું હોય જેથી તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ પણ ઇન્ફેકશન રહેતું હોય જેથી સતત તેઓને સારવાર હેઠળ રાખેલ હતા. વર્ષ 2023માં જીવરાજભાઈની પુત્રવધૂ બીના તેણીના ઘરે આવી અને કહેવા લાગી કે, “મારે લગ્નપ્રસંગમાં જવું છે જેથી તમારા દાગીના પહેરવા આપો. હું તમને બાદમાં પરત આપી દઈશ.’’ તેણીના પતિએ બીનાને બેન બનાવેલ હોય જેથી એ સબંધના નાતે તેમણે બીનાને ઘરેણા પહેરવા આપ્યા હતા. તેના ઉપર વિશ્વાસ હોય જેથી પતિની જાણ બહાર સોનાનો પંજો, વીંટી, સોનાનો ગળાનો હાર, બુટીની જોડી, મંગળસૂત્ર તેમજ માથામાં પહેરવાનો ટીકો આપ્યા હતા. આ બીનાનો લગ્નપ્રસંગ પૂર્ણ થઇ જતા સોનાના ઘરેણા પરત માંગતા બીનાએ એવો જવાબ આપ્યો હતો કે, દાગીના મારી પાસે ભલે રહ્યા મારા ઘરે સચવાયેલા છે. તેમના પતિની સારવાર ચાલુ હોય જેથી દાગીના બીના પાસે જ રહેવા દીધા હતા. ત્યારબાદ અવારનવાર ઘરેણા પરત માંગતા ન જવાબ આપતા તેણીએ બીનાના પતિ સાગરને વાત કરી હતી. ત્યારે આ સાગરે જણાવ્યું કે, અમારે નાણાંની જરૂર પડતાં તમારા પહેરવા આપેલા સોનાના દાગીના અમે ગીરવે મૂકી દીધા છે’. આ બાબતે જીવરાજભાઈને વાત કરતા તેમણે કહ્યું કે, તમે ચિંતા ન કરો મારો દીકરો અને વહુ તમને તમારા ઘરેણાં પાછા આપી દેશે. ઘણો સમય વીતવા છતાં પૈસા પરત ન આપતા પતિને જાણ કરી દેવાની બીક બતાવતા આ સાગરે તેણીને કહ્યું કે, તમે તમારા બીજા ઘરેણા મને આપો હું તમારૂ મંગળસૂત્ર છોડાવી આપીશ. આમ અંત સુધી યેનકેન બહાના બતાવ્યા બાદ કુલ 189 ગ્રામ સોનું જેની કિંમત રૂ.9.81 લાખનું સોનું પરત ન આપી ઠગાઈ આચરતા પોલીસમાં ગુનો નોંધાયો છે. પતિને 4થા સ્ટેજનું કેન્સર હોય જેથી બનાવની જાણ નહોતી કરીઅંતે આ લોકો દાગીના તેણીને પરત નહીં આપે તેમ વિચારી તેણીએ તેના પતિને પણ સઘળી વાત કરી દીધી હતી. પતિએ દાગીના પરત માંગતા તેણે મિત્ર રાહુલને આપ્યા હોય અને રાહુલ હાલમાં ફરાર હોય તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આ બીનાના પિતાએ કોલ કરી ઘરે બોલાવ્યા બાદ જણાવ્યું કે, મારા પુત્ર હિરેને તમારા ઘરેણા ઉપર લોન લીધેલ છે. ત્યારે આપેલ ઘરેણામાંના કેટલાક દાગીના તેમણે બંનેને આપી દીધા હતા. જમાદારના પત્નીએ ઘરેણા પરત માંગતા ગીરવે મુકેલા ઘરેણા છોડાવવા વધુ ઘરેણા આપવાની માંગણી કરીફરીયાદીએ ફરીથી આ સાગરને ઘરેણા આપ્યા હતા અને તેણે મંગળસૂત્ર છોડાવીને આપી દીધું હતું. ત્યારબાદ ફરી 2023માં દંપતી તેની પાસે આવેલ અને કહેવા લાગેલ કે રોકડ કે ઘરેણા આપો છેલ્લીવાર મદદ કરી આપો. તેમ કહી આ સાગર છાયાબાની રાહુલ ગૌસ્વામી નામના તેના મિત્ર સાથે કોલમાં વાત કરાવી હતી. બાદમાં ફરી વાર તેણીએ મદદના નામે બંનેને ઘરેણા આપ્યા હતા. બાદમાં બાકી બચેલું મંગળસૂત્ર લેવા ફરી બંને પતિ-પત્ની તેણીની પાસે આવેલા અને તેનું મંગળસૂત્ર ફોસલાવીને લઇ ગયા હતા. વારંવાર દાગીના માંગવા છતાય ન આપતા સાગરના પિતા જીવરાજભાઈએ જણાવ્યુ કે, મેં તપાસ કરી લીધી છે. તમારા તથા બીનાના દાગીના ખાનગી બેંકમાં મૂકી સાગરે તેના પર ગોલ્ડ લોન લીધેલ છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:28 am

કુલપતિ કાઉન્સિલ:VC છેલ્લી ઘડીએ ACમાંથી બે સભ્યો BOMમાં લઇ જવાનો એજન્ડા લાવ્યા, સભ્યોએ ઉડાવી દીધો!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે મળેલી એકેડેમિક કાઉન્સિલ (AC)ની બેઠક તોફાની રહી હતી. બેઠકમાં 58 જેટલા એજન્ડાઓ તો મંજૂર કરી દેવાયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ કુલપતિ દ્વારા રજૂ કરવામાં આવેલા એક મુદ્દાએ મિટિંગમાં હોબાળો મચાવ્યો હતો. કુલપતિએ પોતાની મરજી મુજબ સભ્યોની નિમણૂક કરવાની કોશિશ કરતા સભ્યોએ ‘સત્તાના દુરુપયોગ’નો આક્ષેપ કરી સભા ગજવી હતી. જો કે અંતે આ પ્રસ્તાવ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. બેઠકમાં વિવાદનું મુખ્ય કારણ એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) માં લઈ જવાનો મુદ્દો હતો. સ્ટેચ્યુટ મુજબ ACમાંથી BoMમાં બે સભ્યોની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર એકેડેમિક કાઉન્સિલના સભ્યોનો હોય છે. તમામ સભ્યોએ સાથે મળીને સર્વાનુમતે આ બે નામ નક્કી કરવાના હોય છે. પરંતુ, શુક્રવારે કુલપતિ પોતે જ બે નામ પહેલેથી નક્કી કરીને લાવ્યા હતા અને સભ્યો પાસે તેના પર મંજૂરીની મહોર લગાવવા દબાણ કર્યું હતું. સભ્યોએ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, AC થી BoMમાં સભ્યો નિયુક્ત કરવાનો પાવર કુલપતિને નથી. વધુમાં, અનુભવના વર્ષોની ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે બેઠકમાં ભારે માથાકૂટના દ્દશ્યો સર્જાયા હતા. યુનિવર્સિટીના સ્ટેચ્યુટ મુજબ સભાના એક સપ્તાહ પહેલા સભ્યોને એજન્ડા મોકલવા અનિવાર્ય છે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે. જોકે, સભ્યોએ જણાવ્યું હતું કે તેમને માત્ર એક કે બે દિવસ પહેલા જ એજન્ડા મોકલવામાં આવે છે. આ રણનીતિ પાછળ યુનિવર્સિટી સત્તાધીશોની એવી મનસા હોય છે કે સભ્યો એજન્ડાનો પૂરતો અભ્યાસ ન કરી શકે અને વિવાદિત મુદ્દાઓ સરળતાથી પસાર થઈ જાય તેવી શંકા સેવાઈ રહી છે. જો કે એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બીઓએમમાં લઇ જવાનો મુદ્દો અંતે પેન્ડિંગ રાખવો પડ્યો હતો. ‘ગ્લોરિયસ ગેરરીતિ’ 5 વર્ષમાં જે કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ ભણી ગયા તે કોલેજને યુનિ.ની મંજૂરી જ ન હતી મળી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી આ બેઠકમાં ખુલ્લી પડી છે. શહેરની ગ્લોરિયસ કોલેજના જોડાણને લઈને એક ચોંકાવનારો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. બેઠકમાં ગ્લોરિયસ કોલેજના વર્ષ 2020-21ના જોડાણને મંજૂરી આપવાનો એજન્ડા મુકવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે જે કોલેજનું જોડાણ હજુ હવે મંજૂર કરવા જઈ રહ્યા છે, ત્યાંથી હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને નીકળી પણ ગયા છે! મોટો સવાલ એ છે કે જો કોલેજ પાસે છેલ્લા 5 વર્ષથી યુનિવર્સિટીનું જોડાણ જ નહોતું, તો ત્યાં એડમિશન આપવાની મંજૂરી કોણે આપી? મંજૂરી વિના ભણેલા વિદ્યાર્થીઓની ડિગ્રીની માન્યતા કેટલી? આટલા વર્ષો સુધી યુનિવર્સિટીના વહીવટદારો શું નિદ્રામાં હતા? આ મુદ્દો યુનિવર્સિટીમાં ચાલી રહેલા વહીવટમાં લાલિયાવાડીનો જીવંત પુરાવો બની ગયો છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:18 am

CBSEનું શાળાઓને ‘હોમવર્ક’:વેબસાઈટ પર હવે પરિણામ, ફી, શિક્ષકોના નામ-લાયકાત મુકવા પડશે

સીબીએસઈએ શિક્ષણ જગતમાં પારદર્શિતાનો નવો અધ્યાય શરૂ કરતા શાળાઓ સામે લાલ આંખ કરી છે. અત્યાર સુધી જે વિગતો માત્ર કાગળ પર રહેતી હતી તેને હવે જનતા સમક્ષ મૂકવા માટે બોર્ડે શાળાઓને ‘હોમવર્ક’ આપ્યું છે. બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ તેમની વેબસાઇટ પર શિક્ષકોની લાયકાત અને શાળાની સુવિધાઓનો સંપૂર્ણ ચિતાર રજૂ કરે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સંલગ્ન તમામ શાળાઓને એક મહત્વપૂર્ણ પરિપત્ર પાઠવીને શૈક્ષણિક પારદર્શિતા વધારવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બોર્ડના ધ્યાન પર આવ્યું છે કે, ઘણી શાળાઓ વારંવારની સૂચના છતાં તેમની સત્તાવાર વેબસાઇટ પર શિક્ષકોની વિગતો અને લાયકાત અપડેટ કરવામાં આળસ દાખવે છે. CBSE દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, તમામ સંલગ્ન શાળાઓએ 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ‘મેન્ડેટરી પબ્લિક ડિસ્ક્લોઝર’ હેઠળ શિક્ષકોની લાયકાત સહિતની વિગતો વેબસાઇટ પર મૂકવી ફરજિયાત છે. જો આ સમયમર્યાદામાં પાલન નહીં કરવામાં આવે તો બોર્ડ દ્વારા તેને ગંભીર ઉલ્લંઘન ગણીને પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ શાળા ખોટી વિગતો અથવા અમાન્ય દસ્તાવેજો અપલોડ કરશે તો તેમની સામે કાયદેસરના ધોરણો મુજબ કડક પગલાં લેવામાં આવશે. આ માટે પરિપત્રમાં ‘Appendix-IX’ મુજબનું નવું ફોર્મેટ પણ જાહેર કરાયું હતું. વાલીઓને જાણકારી માટે સાઇટ પર આટલી વિગતો મુકવી વાલીઓની જાગૃતિ માટે મહત્વનો નિર્ણયCBSE એ જણાવ્યું છે કે, આ માહિતી વાલીઓ માટે અત્યંત મહત્વની છે. વાલીઓ પોતાના બાળકને જે શાળામાં ભણાવે છે ત્યાં કેવી સુવિધાઓ છે અને કેવા શિક્ષકો અભ્યાસ કરાવે છે તે જાણવાનો તેમનો અધિકાર છે. આ પ્રક્રિયાથી શિક્ષણમાં પારદર્શિતા આવશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:16 am

વિતરણ:રામકૃષ્ણ આશ્રમે 4 જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં 750 ધાબળાનું વિતરણ કર્યું

શહેરના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા વર્તમાન શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ પરિવારોને ‘શીતકાળ રાહત કાર્ય’ સંપન્ન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત સંસ્થા દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંતરિયાળ ગામડાઓ અને વાડી વિસ્તારોમાં વસતા ખેતમજૂરો તથા શ્રમિક પરિવારોને કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી આશ્રમ દ્વારા 750 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે તેમને સ્વામી વિવેકાનંદનો પ્રેરણાદાયી ‘સ્વદેશ મંત્ર’ અંકિત કરેલા કાર્ડ્સ અને પૌષ્ટિક નાસ્તાના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:14 am

નારી શક્તિ ઉદ્યોગ સંવાદ યોજાયો:નારી શક્તિ ઉદ્યોગ સંવાદમાં 20 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન

શહેરના મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના ભાગરૂપે ‘નારી શક્તિ ઉદ્યોગ સંવાદ યોજાયો હતો. આ સેમિનારના મહત્વપૂર્ણ અવસરે લઘુ ઉદ્યોગ ભારતી મહિલા પાંખ અને CED વચ્ચે એક મહત્વના MOU કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટની બહેનોને વ્યવસાયિક તાલીમ આપવી, તેમની કલા-કૌશલ્યનો વિકાસ કરવો અને તેમને બજારની આધુનિક તકોથી માહિતગાર કરી આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત 500થી વધુ બહેનોને સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને આર્થિક સહાયની નીતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છની 20 પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:14 am

રવિવારે મૌની અમાવસ્યા:આ દિવસે મૌન રહેવા, તીર્થમાં સ્નાન, દાન અને પિતૃતર્પણનું વધુ મહત્વ

પંચાંગ પ્રમાણે પોષ વદ અમાસને તા.18 જાન્યુઆરીના રોજ રવિવારે મૌની અમાસ છે. આ દિવસે સવારના નિત્ય કર્મ કરી સ્નાન કરવાના જળમાં હાથ રાખી માતા ગંગાજી, યમુનાજી અને સરસ્વતી માતાજીનું નામ બોલવું. જો ઘરમાં ગંગાજળ હોય તો તે પણ સાથે પધરાવવું અને ત્રણેય નદીઓના નામ બોલી કુંભ મેળામાં સ્નાન કરતા હોય તેવી ભાવના રાખવી અને સ્નાન કરવું ઉત્તમ ફળ આપનાર બનશે. ખાસ કરીને આ દિવસે મૌન વ્રત રાખવું જોઈએ અને આ દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું. સ્નાન કર્યા પછી નિત્ય પૂજા કરી મંદિરે પીપળાની પૂજા કરવી, પીપળે પાણી રેડવું, પીપળાની પ્રદક્ષિણા ફરવી અને પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા ઉત્તમ ગણાશે. આ દિવસે કરેલ પિતૃ તર્પણ પિતૃઓને મોક્ષ ગતિ આપનાર બનશે. જે લોકોને જન્મકુંડળીમાં રાહુ પીડા હોય તો આ દિવસે એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં કાળા તલ પધરાવી અને શિવલિંગ ઉપર ચઢાવવાથી રાહુ પીડા શાંત થશે. આ દિવસે કેતુ ગ્રહનો જન્મ થયો હોવાથી તેના જપ, પૂજા કરાવવી ઉત્તમરવિવારના દિવસે આવતી આ મૌની અમાવસ્યા પર ત્રિવેણી સંગમ તથા તીર્થમાં સ્નાન કરવાનું ખુબ મહત્વ રહેલું છે. આ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આ દિવસે મૌન રહેવાનું પણ વધારે મહત્વ છે તેથી ઘણા લોકો આ આખો દિવસ મૌન વ્રત ધારણ કરતા હોય છે. મુનિ શબ્દમાંથી જ મૌની નામ પડ્યું તેમ માનવામાં આવે છે. આથી આ દિવસે વ્રત રહેવાથી મુનિ પદની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પૃથ્વીના સંચાલક મનુનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે કેતુ ગ્રહનો પણ જન્મ થયેલો છે. તેથી આ દિવસે કેતુ ગ્રહની પૂજા કરવી, કેતુ ગ્રહના જપ કરવા ઉત્તમ ગણાશે. આ દિવસે ગાયને ઘાસચારો નાખવો, ગરીબ કે જરૂરિયાતમંદને દાન દેવું, વસ્ત્રદાન તથા અન્નદાન દેવું, ધાર્મિકવિધિ કરાવવી, પિતૃ તર્પણ કરાવવું ઉત્તમ ફળ આપનાર બનશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:13 am

હોબાળો:માંજલપુરમાં સગીરાએ વિસ્તારને માથે લીધો,પ્રેમીને ન મળવા દેતાં હોબાળો, પોલીસ વાન પર બેસી ગઈ

માંજલપુરમાં પ્રેમીને મળવા ગયેલી સગીરાએ વાસી ઉત્તરાયણની રાત્રે વિસ્તારમાં માથે લીધો હતો. સગીરા પોલીસ વાનના બોનેટ પર બેસી ગઈ હતી અને ‘મારી દઈશ’ તેવી ધમકી આપતી હતી. પોલીસ અને સ્થાનિકોએ માંડ-માંડ સગીરાને શાંત પાડી હતી. માંજલુપર જ્યુપિટર ચાર રસ્તા પાસે વાસી ઉત્તરાયણે રાત્રે 16 વર્ષીય સગીરાએ પોલીસ વાનના બોનેટ પર બેસી બૂમો પાડીને વિસ્તારમાં માથે લીધો હતો. પોલીસ સૂત્રો મુજબ સગીરા પ્રેમીને મળવા ગઈ હતી. જોકે પ્રેમીનાં માતા-પિતાએ મળવા ન દેતાં સગીરાએ હોબાળો કર્યો હતો. જેને પગલે પોલીસ વાન પહોંચી હતી. સગીરા પોલીસથી પણ કાબૂમાં રહેતી નહોતી તેમજ માતા-ભાઈ સાથે પણ બોલાચાલી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. માંજલપુર મહિલા પોલીસે પહોંચી સગીરાને પોલીસ મથકે લઈ ગઇ હતી, જ્યાં તેનાં માતા-પિતાને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસે સગીરા નશામાં હતી કે કેમ તે જાણવા બ્લડ સેમ્પલ લેવડાવ્યું હતું. છોકરાને બહાર કાઢવા પોલીસ વાન પર ચઢી ગઈજ્યુપિટર ચાર રસ્તા પાસે ગુરુવારે રાત્રે 9 વાગે ટોળું હતું. પોલીસનું વાહન પણ ત્યાં હતું. મને જાણવા મળ્યું કે, છોકરીએ છોકરાના ઘરમાં તોડફોડ કરી હતી. પોલીસે છોકરાને ગાડીમાં બેસાડ્યો હતો. જેથી છોકરી પોલીસ વાન પર ચઢી ગઈ હતી અને છોકરાને બહાર કાઢવા કહેતી હતી. તેના હાથમાં પક્કડ હતું. છોકરીની માતા અને ભાઈ પણ હતાં. છોકરી માતાને અપશબ્દો બોલતી હતી. તે અહીં જ ન્યાય જોઈએ છે, તેમ કહેતી હતી. મેં છોકરીને કહ્યું કે, હું આવું છું તારી સાથે, છોકરી માટે રિક્ષા બોલાવી મદદ કરી હતી. જોકે તે બેસતી નહોતી. મહિલા પોલીસ પોલીસ મથકે લઈ ગઈ હતી. (વડસર રોડના જયેશ પટેલ સાથે થયેલી વાતચીત મુજબ) વાઇરલ વીડિયો : ત્રણવાર મારી સાથે આવું થયું છે સગીરાનાં માતા-પિતાનું કાઉન્સેલિંગ કરાયુંઘટના ગુરુવારે જ્યુપિટર ચાર રસ્તા નજીક બની હતી. સગીરાનાં માતા-પિતાને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરાયું હતું. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. > એલ.ડી.ગમારા, પીઆઈ, માંજલપુર પોલીસ સ્ટેશન

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:09 am

સન્માન:કવિ દુલાકાગ સ્કૂલના આચાર્ય જીગર ઠાકરનું ચિત્રકૂટ એવોર્ડથી સન્માન થયું

14 જાન્યુઆરીએ તલગાજરડામાં સંત મોરારીબાપુ, શિવકુંજ આશ્રમ આધેવાડાના સંત સીતારામ બાપુ તેમજ રાજ્યના કૃષિમંત્રીના હસ્તે રાજ્યની પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાયો હતો. કવિ દુલાકાગ પ્રાથમિક શાળાના આચાર્ય જીગર ઠાકરને એવોર્ડથી નવાજાયા હતા. રાજ્ય કક્ષાએ નામના ધરાવતી શહેરની કવિ દુલાકાગ પ્રાથમિક શાળાના આચાર્ય જીગર ઠાકરને તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અપાયો હતો. તેઓએ શાળાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપેલું છે. આ પ્રસંગે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પિનાકીન પટેલ, સંજય પટેલ અન્ય શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની એકમાત્ર સરકારી શાળા જ્યાં પ્રવેશનું વેઇટિંગકવિ દુલા કાગ પ્રાથમિક શાળા રાજ્યની એક માત્ર સરકારી શાળા છે જ્યાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય છે. આ વખતે ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પ્રથમવાર ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળા કવિ દુલાકાગમાં પ્રવેશ માટે નોંધણી કરાઇ છે. જૂન મહિનામાં શાળામાં પ્રવેશ માટે ધારાસભ્યો, કાઉન્સિલરો દ્વારા ભલામણ પત્રો લખીને આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:07 am

ચાર ઝોનમાં 1-1 કરોડનાં શેલ્ટર હોમ બનાવાશે, 8 વાહનોની ખરીદી:અધિકારીઓની મનમાની પર બ્રેક,કૂતરાંના શેલ્ટર હોમની અલાયદી દરખાસ્ત લવાશે

સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ રખડતાં કૂતરાઓને રાખવા, તેમને જમાડવા તેમજ કમ્પ્લેઈન એટેન્ડિંગ ચાર્જને મંજૂરી માગતી દરખાસ્ત સ્થાયીમાં મુકાઈ હતી. જેમાં શેલ્ટર હોમ બનાવવા અને વાહનોની ખરીદી કરવા માટેની સત્તા મ્યુનિ. કમિશનરને સોંપવા અંગેનો પણ ઉલ્લેખ કરાયો હતો. જે દરખાસ્ત પર ચર્ચા દરમિયાન અધિકારીઓ મનમાની ન કરે તે માટે શેલ્ટર હોમ અને વાહનોની ખરીદી મુદ્દે અલાયદી દરખાસ્ત લાવવા ઠરાવ કરાયો છે. શહેરમાં આવેલી શાળા અને કોલેજો, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળ પરથી કૂતરાને હટાવવા સુપ્રીમ કોર્ટે કરેલા આદેશના આધારે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના હુકમનો ઉલ્લેખ કરી કૂતરાઓને પકડ્યા બાદ તેમનું જમવાનું, કમ્પ્લેન એટેન્ડિંગ ચાર્જ સારવાર અને કાળજીનો ચાર્જ મંજૂર કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઈ હતી. દરખાસ્તમાં કૂતરાઓને પકડ્યા બાદ તેમને રાખવા માટે 4 ઝોનમાં 4 સેન્ટર હોમ બનાવવા તેમજ કૂતરાઓને પકડવા માટે 4 વાન અને 4 બોલેરોની ખરીદી કરવા અંગે મ્યુ. કમિશનરને સત્તા આપવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે સ્થાયીમાં આ કામની ચર્ચા દરમિયાન કૂતરાના વધારાના ચાર્જને મંજૂર કરાયા છે પરંતુ 4 ઝોનમાં 4 શેલ્ટર હોમ બનાવવા અને વાહનોની ખરીદી કરવા અંગે અલાયદી દરખાસ્ત લાવવામાં આવે તેવો ઠરાવ કરાયો છે. સૂત્રો મુજબ વહીવટી તંત્રની મનમાની પર બ્રેક લગાવવા માટે સ્થાયીના સભ્યોએ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આસિ. મ્યુ. કમિશનરનો હોદ્દો ભરવાની દરખાસ્ત પરતસ્થાયી સમિતિમાં આસિ. મ્યુ. કમિશનરની લાયકાતમાં સુધારો કરવા અને આ જગ્યાને આંતરિક પસંદગીથી ભરવા ડિસેમ્બર-2024માં દરખાસ્ત મુલતવી કરાઈ હતી. જોકે પાલિકાની સભામાં આ પ્રકારની ભરતીની બીજી દરખાસ્ત મંજૂરી વિના પડી રહી છે. જેને ધ્યાનમાં રાખી 2024માં મુલતવી રખાયા બાદ દરખાસ્તને ફરીથી સ્થાયીમાં મૂકી તેને પરત મોકલાઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:05 am

ઠંડીનો ચમકારો:ઠંડીનું જોર યથાવત્, લઘુતમ પારો 11.8 ડિગ્રી નોંધાયો

ઉત્તરના પહાડી વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાને પગલે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જાન્યુઆરીમાં વાસી ઉત્તરાયણે કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. સિઝનમાં પ્રથમવાર લઘુતમ પારો 10 ડિગ્રી પહોંચ્યો હતો. જેને પગલે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તરાયણમાં ઠંડીનું જોર યથાવત્ રહેતાં શુક્રવારે લઘુતમ પારો 11.8 ડિગ્રી નોંધાયો હતો. ગુરુવાર કરતાં 1.8 ડિગ્રીનો નજીવો વધારો થયો હતો. જ્યારે શુક્રવારે મહત્તમ પારો 32.2 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 76 ટકા અને સાંજે 32 ટકા નોંધાયું હતું. પવનની ગતિ 4 કિમીની ઝડપે નોંધાઇ હતી. શનિવારે પારો 11 થી 13 ડિગ્રી વચ્ચે નોંધાશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:00 am

મનપાની ખાદ્ય સલામતીની કામગીરી માત્ર ફોર્માલિટી બની:મકરસંક્રાંતિ ગઇ, ઉંધિયું, ફાફડા, જલેબી ગઇ પેટમાં, રિપોર્ટ આવશે છેક ઉનાળામાં

મકરસંક્રાંતિ જેવા મોટા તહેવાર દરમિયાન શહેરમાં ધૂમધામથી વેચાયેલા ઉંધિયું, ફરસાણ અને મીઠાઈઓની ગુણવત્તા અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંક્રાંતિ બાદ પણ શહેરમાં ખાદ્ય ચકાસણી અભિયાન ચાલુ રાખીને વિવિધ રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાંથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. જોકે આ નમૂનાના રિપોર્ટ ઉનાળામાં મળશે તે હકીકતે ફૂડ સલામતીની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. ફૂડ વિભાગની ટીમે કોઠારિયા રોડ, હરી ધવા મેઇન રોડ સ્થિત રામપાર્કના રાહુલ પ્લાઝામાં આવેલી પટેલ ચાઇનીઝ એન્ડ સાઉથ ઇન્ડિયન અને કાલાવડ રોડની મટુકી રેસ્ટોરન્ટમાંથી તૈયાર ઉંધિયું સબ્જીના નમૂનાઓ લીધા હતા. આ ઉપરાંત કોટેચાનગર મેઇન રોડ પર આવેલા માલાણી કોમ્પ્લેક્સના બજરંગ ફરસાણમાંથી ફાફડા તથા ગાંઠિયાના નમૂનાઓ અને રેલવે સ્ટેશન સામે ભાટિયા બોર્ડિંગ પાસે આવેલી અમૃત સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મમાંથી જલેબીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ છેક ઉનાળામાં આવશે. દરમિયાન ફૂડ વિભાગે આનંદ બંગલા ચોકથી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં ખાણીપીણીના વેપાર કરતા કુલ 21 ધંધાર્થીની તીવ્ર તપાસ કરી હતી. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી શહેરમાં ખાદ્ય સલામતી માત્ર ફોર્માલિટી બની ગઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:00 am

નીચે ટનલ, વચ્ચે ટ્રેન અને ઉપર બુલેટ સ્ટેશન:ત્રીજા માળે દોડશે દેશની પહેલી હાઇસ્પીડ રેલ, ગજબનું અંડરગ્રાઉન્ડ કનેક્શન, જુઓ અમદાવાદનાં કાલુપુર જંક્શનનો ઇનસાઇડ વીડિયો

કાલુપુર બુલેટ ટ્રેન સ્ટેશન. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી દેશની પહેલી હાઇસ્પીડ રેલનું બીજું સ્ટેશન. આ સ્ટેશન પતંગની થીમ પર આકાર લઈ રહ્યું છે. એન્જિનિયરિંગનો કમાલ એવો કે, અહીં ચારેકોરથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહેશે. એટલે કે, રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન અહીં કનેક્ટેડ હશે. માત્ર જમીનથી ઉપર જ નહીં અંડરગ્રાઉન્ડ પણ કનેક્શન હશે. આ સ્ટેશન પર પેસેન્જર્સ માટે વર્લ્ડક્લાસ સુવિધાઓ હશે. 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'ના આઠમા એપિસોડમાં દિવ્ય ભાસ્કર આપને કાલુપુર બુલેટ ટ્રેન સ્ટેશનની ટૂર કરાવે છે. આ પ્રોજેક્ટનો તમે ના જોયેલો ડ્રોન વ્યૂ અને પ્રોજેક્ટથી તમને શું ફાયદો થશે એ જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:00 am

ખેલ મહોત્સવમાં સાંસદો રમત રમી ગયા:સ્પર્ધામાં ભાગ લીધા વગર જ સર્ટીફિકેટ મળ્યાની ચર્ચા; કુવાનું પાણી તળાવમાં ભરતા જુનાગઢ પાલિકાનું નાક કપાયું

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:00 am

ભાસ્કર એક્સપોઝ:મહાનગરપાલિકાના થપ્પડ કી ગૂંજના કેસમાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ ન કરવા કાવાદાવા શરૂ

રાજકોટ મહાનગરપાલિકામાં થયેલા લાફાકાંડમાં 48 કલાકમાં એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની જાહેરાત થઈ હતી. જો કે 10 દિવસ બાદ પણ કશું થયું નથી. ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે કે, લાફાકાંડમાં જે એજન્સી છે તેમજ જેણે ફડાકો ઝીંક્યો છે તે મેયરના સગા છે. જ્યારે જિલ્લા ભાજપ અગ્રણી તોગડિયાના ભાઈ જ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીના સંચાલક છે. આ માટે ઈજનેરોને માર મારનાર સામે કોઇ પગલાં હજુ સુધી લેવાયા નથી. 5 જાન્યુઆરીએ આસિ. ઈજનેર ધવલ ગોલાણિયાને ડેપ્યુટી ઈજનેર નિકેશ મકવાણાની ચેમ્બરમાં કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ ફડાકો ઝીંકી દીધો હતો. પળભરમાં જ ઈજનેરો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. એજન્સી પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉઠી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર્સ એસોસિએશને આ મામલે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ 48 કલાકમાં એજન્સીને બ્લેકલિસ્ટ કરાશે તેવી હૈયાધારણા આપી હતી. કમિશનરે કમિટી પણ રચી નાખી હતી. જો કે 10 દિવસ વિત્યા બાદ પોલીસ ફરિયાદ સુધ્ધા નથી કરાઈ. જે મામલે તપાસ કરતા બહાર આવ્યું છે કે આ એજન્સી ભાજપના આગેવાનોની હોવાથી મેયર અને કમિશનર પગલાં લેવા ઈચ્છતા નથી. કર્મચારીઓને માર પડે કે પછી તેમની આબરૂનું ધોવાણ થાય તો પણ એજન્સી સામે કોઇ પગલાં નહીં લેવા મન બનાવી લેવાયું છે. મનીષ વેકરિયા કે જેણે ઈજનેરને ફડાકો ઝીંક્યો તે પટેલ કન્સ્ટ્રક્શનનો લેબર કોન્ટ્રાક્ટર છે તેમજ તે મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનુભાઈના પારિવારિક સંબંધી છે. આ કારણે જ ફડાકો ઝીંકાયાની મિનિટોમાં જ મેયર ઓફિસમાંથી ભલામણોના ફોન થવા લાગ્યા હતા. બીજી તરફ પટેલ કન્સ્ટ્રક્શનના સંચાલક પ્રકાશ તોગડિયાએ છે કે જે જિલ્લા ભાજપ અગ્રણી મુકેશ તોગડિયાના સગા ભાઈ છે. મુકેશ અગાઉ લોધિકા તાલુકા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ હાલ પડધરી તાલુકાના પ્રભારી છે. જ્યારે મુકેશના પત્ની અલ્પાબેન રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન છે. આ રીતે જોતા પટેલ કન્સ્ટ્રક્શન ખરેખર ભાજપના આગેવાનોની જ એજન્સી છે. આ લોકોને ભરોસો છે કે કોઇપણ ગેરરીતિ કરશું મેયર કે જિલ્લા ભાજપ સંગઠન ઉની આંચ નહીં આવવા દે એટલે જ કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. ઈજનેરોનો વિરોધ, ચેરમેનનું અલ્ટિમેટમ પણ જીત મેયરની થઈસમગ્ર ઘટનાક્રમ જોઈએ તો ઈજનેરને લાફો માર્યાની વાત ફેલાતા ઈજનેરો સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. મ્યુનિસિપલ કમિશનરને આવેદન અપાયું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે 48 કલાકમાં એજન્સી બ્લેક લિસ્ટ થશે. મ્યુનિસિપલ કમિશનરે કમિટી બનાવી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો હતો. જે રિપોર્ટમાં ફડાકો માર્યાની ઘટના અને નિવેદન સાથે અહેવાલ આપી દેવાયો છે. જો કે છેવટે જીત મેયરની જ થઈ છે કારણ કે ઈજનેરને માર મારનાર સામે કોઇ પગલાં લેવાયા નથી. લેબર કોન્ટ્રાક્ટર હોવાનું કહી એજન્સીને બચાવવા દાવપટેલ કન્સ્ટ્રક્શન અને લેબર કોન્ટ્રાક્ટર મનીષ બંને અલગ અલગ છે એવું સાબિત કરવા હાલ તરકીબો લગાવાઈ રહી છે. પટેલ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને તેણે મનીષને કામ આપ્યું છે તેથી ફડાકો મારવા બદલ લેબર કોન્ટ્રાક્ટર મનીષની જવાબદારી બને તેમાં પટેલ કન્સ્ટ્રક્શનને કશું લેવા દેવા નહીં તેવી સલાહ કોઇ આપે તેની રાહ જોવાઈ રહી છે. જો કે હકીકત એ પણ છે કે મનપા જ્યારે કોન્ટ્રાક્ટ આપે ત્યારે આવી કોઇપણ ઘટનામાં મૂળ કોન્ટ્રાક્ટર જ જવાબદાર રહે તેવી કલમ ઉમેરે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:59 am

રહીશોએ બળાપો ઠાલવ્યો:ખોડિયાર નગર વુડાના આવાસોમાં ડ્રેનેજ ઊભરાવાના મામલે વોર્ડ કચેરીએ મોરચો

ખોડિયાર નગર વુડાનાં મકાનોમાં રહેતા રહીશો 1 વર્ષથી ડ્રેનેજ ઊભરાવાની સમસ્યાથી પરેશાન છે. છેલ્લા 1 વર્ષથી વિસ્તારના લોકો અનેક બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. આ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ મોરચો કાઢી વોર્ડ 4ની કચેરીએ પહોંચી હતી, જ્યાં ધરણાં કર્યાં હતાં. અધિકારીઓ દ્વારા કામગીરી કરાતી ન હોવાનો બળાપો તેમણે ઠાલવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:58 am

5 કરોડની જમીનના વિવાદમાં ફરિયાદ માટે લાંચ માગી:વારસિયા PIના નામે લાંચ માગનારના જામીન નામંજૂર

વારસિયામાં 5 કરોડની વિવાદિત જમીન પર બિલ્ડરે બાંધકામ શરૂ કર્યું હતું. અરજીને ફરિયાદમાં તબદીલ કરવા પીઆઇના નામે ખાનગી વ્યક્તિએ પાંચ લાખ માંગી અઢી લાખ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. આરોપીએ કોર્ટમાં મુકેલા રેગ્યુલર જામીન નામંજૂર થયા છે. અતાહુસૈન મલંગમિયા સિંધીની જમીનમાં વિનોદ ચાંદવાણીએ બાંધકામ શરૂ કર્યું હતું. જમીન માલિકે વારસિયા પોલીસમાં બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી. વારસિયા પીઆઈ એસ.એમ.વસાવાને વકીલની હાજરીમાં ફરિયાદી મળ્યા હતા. ત્યારે ચોખંડીમાં સુરેશ રામચંદ તોલાણીને મળવા જણાવ્યું હતું.સુરેશભાઈને મળતા ફરિયાદ માટે 5 લાખ પીઆઇને આપવા પડશે એમ કહ્યું હતું.વારસિયા પીઆઇ વિરુદ્ધ પ્રત્યક્ષદર્શીનું ACBમાં સોગંદનામું, કહ્યું, પીઆઇનો વ્યવહાર સુરેશ જ કરે છે અરજીને ફરિયાદમાં તબદીલ કરવા વારસિયા પીઆઈએ પોલીસ મથકમાં જ આરોપી સુરેશ તોલાણીને મળવા જણાવી વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. સુરેશ તોલાણીએ પીઆઇને અમારી સામે ફોન કર્યો હતો. ગુનામાં સંડોવણી હોવા છતાં એસીબીના તપાસ અધિકારી પીઆઇને બચાવતા હોવાની રજૂઆત થતાં સુરેશ કલ્યાણીએ એસીબીના વડા સમક્ષ સોગંદનામું કરી પીઆઇનો વ્યવહાર સુરેશ કરતો હોવાનું કહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:57 am

હવામાન વિભાગની આગાહી:સૌરાષ્ટ્રમાં આજથી ઝાકળવર્ષા,21થી 26 ફરી માવઠાંની આગાહી

17 તારીખથી એટલે કે આજથી રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર ઝાકળવર્ષાનું પ્રમાણ જોવા મળશે અને ઠંડીમાં સામાન્ય એવો 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને એ પણ બે થી ત્રણ દિવસનો હશે. જોકે આગળ ઉપર પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એને કારણે 21 થી 25 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડવાના છે. રાજકોટમાં શુક્રવારે લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી, મહત્તમ 30.7 ડિગ્રી રહ્યું હતું. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જણાવે છે કે, ઠંડી યથાવત રહેશે માત્ર થોડી રાહત મળી શકે છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર ભીષણ બરફવર્ષા અને ભારે વરસાદ થવાનો છે એને કારણે ફરીથી ઠંડી પણ આવશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 થી 25 તારીખ વચ્ચે ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. પણ સાથોસાથ મહત્વની બાબત એ પણ છે કે, લગભગ 18 તારીખથી પવનની ઝડપમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. અત્યારે એવરેજ 11થી લઈને લગભગ 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે, એની જગ્યાએ 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલે તેવી શક્યતાઓ છે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:55 am

આજવા રોડ પર પ્રદીપજી મિશ્રાની કથા શરૂ,:દરેક પરિવારનો 12 છોડ રોપવા માટે સંકલ્પ

આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે પંડિત પ્રદીપજી મિશ્રાની કથાનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી હતી અને પરિવાર દીઠ 12 વૃક્ષ રોપી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. સમગ્ર ભારત વર્ષમાં 25 કરોડ છોડ રોપી તેનું જતન કરવાના અભિગમ સાથે આ કામ થઇ રહ્યું છે. તેમણે કથામાં જણાવ્યું હતું કે, ભગવાન શિવજીની કથામાં શરીરનો સદુપયોગ કરવો જોઇએ. વડોદરા શિવજીની ભૂમિ છે. આજુ-બાજુ, ઉપર-નીચે જોઇએ તો ભગવાન મહાદેવ નવનાથ રૂપે રક્ષા કરે છે. જે વ્યક્તિએ શિવ ભક્તિ પોતાના જીવનમાં ઉતારી લીધી તેનું ભગવાન કલ્યાણ કરે છે. શંકર ભગવાનની ગુજરાત પર બહુ કૃપા છે. 2 જ્યોતિર્લિંગ છે. સોમનાથ અને નાગેશ્વર. સંસારમાં ઘણા લોકો છે જે સારા ઘરમાં જન્મ લેવા છતાં સારું કર્મ કરી શકતા નથી. આગામી 15મીએ ગ્રીન શિવરાત્રી નિમિત્તે એક બિલી પત્રનું વૃક્ષ વાવીએ. ઉલ્લેખનીય છે કે, અગ્રવાલ અકોટા ગાર્ડન ગ્રૂપ દ્વારા કથાનું આયોજન કરાયું છે. વ્યાસપીઠને ગ્રીન શિવરાત્રીની થીમ પર સજાવાઇઆગામી 15 ફેબ્રુઆરીએ આવી રહેલી શિવરાત્રીને ગ્રીન શિવરાત્રી થીમ પર ઊજવવાની છે. જે અંતર્ગત વડોદરાની કથામાં વ્યાસપીઠને ગ્રીન શિવરાત્રી લખી ગ્રીન થીમ પર સજાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:54 am

ભાસ્કર એક્સક્લુસિવ:મૃતદેહને પણ ન છોડ્યો, ખિસ્સામાંથી રૂપિયા 19800 કાઢી લીધા

રાજકોટ સિવિલ હોસ્પિટલ તેના કેટલાક સ્ટાફને કારણે છાશવારે વગોવાતી રહે છે, દર્દીઓની સારવારમાં દાંડાઇ કરવાની ઘટનાઓ તો અનેક વખત પ્રકાશમાં આવી છે, પરંતુ ગુરૂવારે રાત્રે તો માનવતાને શર્મસાર કરતું કૃત્ય આચરવામાં આવ્યું હતું, હોસ્પિટલના કોઇ સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી રૂ.19800 ચોરી લીધા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, મૃતકને પણ નહીં છોડનાર શખ્સને પોલીસ શોધીને કાર્યવાહી કરશે કે મામલો સમેટાવી દેવાશે તેના પર સૌની મીટ મંડાઇ છે. મધ્યપ્રદેશના વતની અને માંડણકુંડલામાં ખેતમજૂરી કરતાં સગાભાઇ ભોખરિયા (ઉ.વ.55) પોતાનું બાઇક ચલાવીને જતા હતા ત્યારે કોલીથડ પાસે ટ્રેકટરે ઉલાળતાં તેમને બેભાન હાલતમાં કોલીથડથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સગાભાઇની હાલત ગંભીર હોવાથી ગોંડલ હોસ્પિટલના સ્ટાફે તેમને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કવાયત શરૂ કરી હતી. બેભાન હાલતમાં રહેલા સગાભાઇના પેન્ટના ખિસ્સા ગોંડલ હોસ્પિટલના સ્ટાફે ચેક કરતાં તેમના ખિસ્સામાંથી રોકડ રકમની થપ્પી મળી આવી હતી, તે રકમની ગણતરી કર્યા વગર તે થપ્પી હોસ્પિટલ સ્ટાફે 108ના સ્ટાફને સોંપી હતી અને રાજકોટ હોસ્પિટલમાં આ રકમની નોંધ કરાવવાની પણ જાણ કરી હતી. ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યે સગાભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં 108નો સ્ટાફ લઇને આવ્યો હતો, 108ના સ્ટાફે હોસ્પિટલના હેલ્પ ડેસ્કના સ્ટાફની હાજરીમાં સગાભાઇ પાસેથી મળેલી રકમની ગણતરી કરી તો તે રૂ.19920 હોવાનું સ્પષ્ટ થયું હતું, હેલ્પ ડેસ્કના સ્ટાફે આ રકમ અંગેની દફતરે નોંધ કરી હતી અને તે તમામ રકમ ફરીથી સગભાઇના પેન્ટના ખિસ્સામાં મુકી દેવામાં આવી હતી. ત્યારબાદ સગાભાઇને ઇમરજન્સી વિભાગમાંથી બે સર્વન્ટ ઇમરજન્સી વોર્ડમાં લઇ ગયા હતા, ત્યાં તેમની સારવાર શરૂ થઇ હતી અને થોડીવાર બાદ સગાભાઇનું મૃત્યુ થયું હતું. બીજીબાજુ સગાભાઇના ભાણેજ કિલ્લાભાઇ સહિતના પરિવારજનો માંડણકુંડલાથી રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. સગાભાઇનું મૃત્યુ થયાની તેમને જાણ થઇ હતી અને તેમના ખિસ્સામાં રૂ.19920 રોકડા હતા તેવી એક વ્યક્તિએ જાણ કરતાં કિલ્લાભાઇએ મૃતક સગાભાઇના પેન્ટનું ખિસ્સું ચેક કર્યું તો તે રકમ ગાયબ હતી, આ બાબતે સિવિલ હોસ્પિટલ ચોકી અને ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી.હોસ્પિટલના કોઇ કર્મચારીએ મૃતદેહને પણ છોડ્યો નહોતો અને મૃતકના ખિસ્સામાંથી રકમ સેરવી લીધી હતી. આ બાબતે ફરજ પર રહેલા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ સહિતનાઓએ પોતે રકમ કોણ ચોરી ગયું તે બાબતે અજાણ હોવાનું રટણ રટ્યું હતું, જોકે મૃતકના ખિસ્સામાંથી રકમની ચોરી થઇ તે વાત નિશ્ચિત હતી. દરેકે પોતાની જવાબદારી ફગાવી છે ત્યારે હોસ્પિટલ તંત્ર અને પોલીસ તંત્ર માનવતાને શર્મસાર કરનારને શોધી તેની સામે કાર્યવાહી કરશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે. હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ભાંડો ફૂટેઇમરજન્સી વિભાગમાંથી સગાભાઇને ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરાયા હતા, ત્યાં સુધીમાં બે સરવન્ટ તેમની સાથે હતા અને વોર્ડમાં દાખલ કરાયા ત્યારે ડોકટર અને નર્સિંગ સ્ટાફ વોર્ડમાં હતો, હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો આવા કરતૂત કરનારનો ભાંડો ફૂટી શકે. સિવિલ હોસ્પિટલની શર્મસાર કરતી ઘટના 108ના સ્ટાફે હેલ્પ ડેસ્કમાં નાણાંની નોંધ પણ કરાવી’તી, મૃતકના પરિવારજનો આવ્યા ત્યાં સુધીમાં રકમ ગાયબ થઇ ગઇ

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:54 am

સંસ્કૃતિની ગાથા:સૌરાષ્ટ્રના ટિપ્પણી, ગરબા, હરિયાણવી લોકનૃત્યોથીબાળ કલાકારોએ મંચ પર સંસ્કૃતિની ગાથા રચી

લોકનૃત્ય અને લોકગીત દ્વારા ગુજરાત તથા ભારતની લોકપરંપરાની જીવંત છબી રજૂ થઈ, ભજન અને સમૂહગીતમાં આધ્યાત્મિક ભાવના તથા સંગીત સાધનાનો સુમેળ જોવા મળ્યો. વક્તૃત્વ, નિબંધ અને લોકવાર્તા જેવી કૃતિઓમાં વિદ્યાર્થીઓની વિચારશક્તિ, ભાષાકૌશલ્ય અને અભિવ્યક્તિની પરિપક્વતા પ્રગટ થઈ. લગ્નગીત અને એકપાત્રિય અભિનયમાં લોકજીવનની સંવેદનાઓ તથા અભિનયકૌશલ્યનું અસરકારક પ્રદર્શન થયું હતું. વડોદરા : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા મધ્ય ઝોન પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં મધ્ય ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બનેલા બાળકોને ભાગ લેવાની તક અપાઇ હતી. સ્પસ્પર્ધામાં લોકનૃત્ય, લોકગીત, ભજન, વક્તૃત્વ, સહિત કુલ 13 સ્પર્ધાઓ યોજાઈ હતી. બાળકોમાં રહેલી છુપાયેલી પ્રતિભાને મંચ આપવા તેમજ ભારતીય લોકકલા, લોકસંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિકારી કેતુલ મેહરિયાએ કહ્યું કે, આવી સ્પર્ધાઓ બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સંસ્કૃતિપ્રત્યે ગૌરવની ભાવના વિકસાવે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:47 am

બુટલેગરોની નામજોગ વિગતો પીઆઈને અપાઈ:મોરબી પોલીસની કામગીરી શંકાના દાયરામાં, લોકેશન સાથે દારૂના 11 અડ્ડાના સરનામા અર્પણ

મોરબીમાં પોલીસની ઢીલી નીતિ અને શંકાસ્પદ કામગીરીથી દારૂની બદી વ્યાપકપણે ફૂલીફૂલી હોવાની ધગધગતી મોરબી તાલુકા પીઆઈને પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબીના ઔદ્યોગિક ઝોન ગણાતા પીપળી ગામથી જેતપર રોડ સુધીના વિસ્તારમાં 11 સ્થળે બેફામપણે જાણે પોલીસ કે કાયદાનો ડર જ હોય અને દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ હોય એમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ સ્થળોએ બિન્ધાસ્ત રીતે અન્ય વસ્તુઓની જેમ બુટલેગરો બેરોકટોક દારૂનો વેપલો કરીને પોલીસના અસ્તિત્વ ઉપર પડકાર ફેંકી રહ્યા છે. જો કે આ અરજીમાં મોરબી તાલુકા હદ વિસ્તારમાં પીપળી ગામથી જેતપર રોડ સુધી 11 સ્થળોએ દારૂના અડ્ડા, બુટલેગરોના નામ તેમજ દારૂના તમામ અડ્ડાના લોકેશન સહિતની ચોંકાવનારી વિગતો દર્શાવી છે અને આ દેશી દારૂના અડ્ડાનો સફાયો કરવાની ફરિયાદ ખોડાભાઈ નારણભાઈ નામના નાગરિકે કરી છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારૂબંધી મામલે પોલીસ અને ગૃહમંત્રીની કામગીરીની આકરી ઝાટકણી કાઢ્યા બાદ દારૂબંધીના જંગમાં મોરબી કોંગ્રેસ પણ કૂદી પડી હતી અને એસપીને આવેદન આપી મોરબીમાં ધમધમતા દેશી દારુઓના અડ્ડાના લોકેશન સહિતની વિગતો સાથે આ તમામ દારૂના અડ્ડા પર તૂટી પડવાની માંગ કરી જો એક મહિનામા પોલીસ કાર્યવાહી ન કરે તો જનતા રેડની ચીમકી આપી હતી. પણ આ મુદત વીત્યાને ખાસ્સો સમય વીત્યો હોવા છતાં કોંગ્રેસે આપેલા દારૂના અડ્ડા પર પોલીસે કોઈ કાર્યવાહી કરી જ નથી. જો કે જનતા રેડની ચીમકી આપનાર આ વિપક્ષ પણ પોલીસને એની ફરજનું ભાન કરાવવાનું ભૂલી ગયું હોય બધું જ રાબેતા મુજબ’ ચાલી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:39 am

ઐતિહાસિક ઈમારતોને ફરી ‎જીવંત કરવાનો કરાશે પ્રયાસ:સિરામિક સિટીની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ

મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિક શાખા દ્વારા શહેરની મુખ્ય ઐતિહાસિક ઈમારતોને રોશનીથી ઝળહળતી કરવા અને ઐતિહાસિક ઈમારતોને ફરી જીવંત કરવા તૈયારી કરવામાં આવી રહી છે. મોરબીમાં ઘણી બધી ઐતિહાસિક ઈમારતો આવેલી છે તાજેતરમાં મોરબી મનપાની ઇલેક્ટ્રિક શાખાએ શહેરની વિવિધ ઈમારતોને જુદા- જુદા શેડમાં રોશનીથી શણગાર કરવા માટે ટેન્ડર પ્રોસેસ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિક શાખા દ્વારા શહેરની ઇમારતો લાઇટિંગ શેડથી શણગારવામાં આવનાર છે, જેમાં ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમ તેમજ અન્ય વિવિધ લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવનાર છે . ગ્રીન ટાવરમાં દેશના તિરંગાની થીમના ત્રણેય કલરનો નયનરમ્ય નજારો આગામી સમય માં મોરબી વાસીઓને જોવા મળશે, તેમજ મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા મણીમંદિર માં પણ વિવિધ રોશનીના શેડ દ્વારા શણગાર કરવામા આવનાર છે , રાજાશાહી સમયના મણી મંદિરની રોશનીના શણગારથી શાનમાં વધારો થશે , સમગ્રપણે મણિ મંદિરમાં લાઇટિંગના શેડ વિવિધ રીતે ગોઠવવામાં આવશે , જેમાં અલગ અલગ જગ્યાઓ પર વિવિધ રીતે લાઇટિંગ ની ગોઠવણ થશે. મણિમંદિર સજશે નવા વાઘા મોરબીની શાન સમાન મણી મંદિરનો નજારો અત્યંત સુંદર બનાવવા માટે ઇલેક્ટ્રિક શાખાના અધિકારીઓ - કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો વિવિધ લાઇટિંગ ડેકોરેશનથી ઝળહળતી કરવામાં આવનાર છે, આ સમગ્ર કામગીરી માટે હાલ ઇલેક્ટ્રિક શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીથી મોરબી શહેરના રહેવાસીઓને હરવા ફરવાના નવા લાઇટિંગ ડેકોરેશન વાળા સ્થળો મળી રહેશે, અને રાત્રિના સમય માં ફોટોગ્રાફી માટેના ઉત્તમ સ્થળની ભેટ આગામી સમયમાં શહેરીજનોને મળશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:35 am

આપનો આંતરિક ‎વિખવાદ સપાટી પર આવ્યો:ઇટાલિયાની સભામાં રાજીનામું‎ દેવા આવેલો ઉપપ્રમુખ સસ્પેન્ડ‎

મોરબીમાં મનપા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ જ ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જેમાં આપના નેતા ઇસુદાન અને ગોપાલ ઇટાલિયાની મોરબીમાં યોજાયેલી સભામાં રાજીનામું આપવા આવેલા કાર્યકર્તા હિતુભા રાઠોડને સ્ટેજ સુધી પહોંચતા પહેલાં અટકાવી દેવાતાં તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. આથી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવ પટેલે હિતુભા અને ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામાને પક્ષના હોદા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા પ્રમુખ પટેલે ઉમેર્યું હતું કે આ બન્ને અવારનવાર પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરે છે, અને જિલ્લાના હોદ્દેદારો સાથે આંતરિક વિખવાદ કરી પોતાનું અલગ સંગઠન કરવાની પેરવી કરે છે. તેમને સોંપવામાં આવેલી કોઈપણ જાતની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા ન હોય ઉપરથી સોશિયલ મીડિયામાં પક્ષવિરોધી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરે છે. ઉપરાંત શહેર ભાજપ પ્રમુખની ઓફિસ પર પહોંચી અંગત મિટિંગ કરી આવનારી ચુંટણીમાં પક્ષને કઇ રીતે નુકસાન કરી શકાય તેવી રણનીતિ ઘડી હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:32 am

હવામાન વિભાગની આગાહી:મોરબી જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે 23મીથી બે દિવસ ફરી માવઠાંની શક્યતા

મોરબી જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ પખવાડિયા સુધી લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ કરાવ્યા બાદ આગામી એક સપ્તાહ સુધી ઠંડીમાંથી આંશિક રાહત મળશે તેવી જાહેરાત હવામાન વિભાગે કરી છે અને આ ઉપરાંત જાન્યુઆરી અંતિમ સપ્તાહમાં મોરબી જિલ્લાના છુટા છવાયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો ક્યાંક કમોસમી વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં બે ત્રણ દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે, વહેલી સવારે લઘુત્તમ તાપમાન 10 થી 11 ડીગ્રી સેલ્સિયસ રહેતું હતું તે હાલ 12 થી 14 ડીગ્રી વચ્ચે નોંધાયું છે, તો બપોરના સમયે ઠંડા પવનને કારણે 22 થી 26 ડીગ્રી વચ્ચે મહત્તમ તાપમાન ફરી 30 ડીગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઇ રહ્યું છે જોકે આ રાહત લગભગ એક સપ્તાહ સુધી રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મજબુત વેસ્ટર્બન્સ ભારત તરફ આવી રહ્યું હોય જેના કારણે 23 થી 25 જાન્યુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં છૂટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારમાં માવઠું થાય તેવી આશંકા છે અને આ માવઠા બાદ ફરી એકવાર એટલે કે જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે. શિયાળુ પાકને હળવું પિયત આપવા સલાહ‎કૃષિ હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ ઘટ થવાની શક્યતાને ધ્યાન પર લઇ શિયાળુ પાકને હળવું પિયત આપવા ખેડૂતોને સલાહ અપાઇ છે તો શાકભાજી જેવા પાકમાં પહેલા નિંદામણ કરવા બાદમાં પિયત આપવા જણાવ્યું છે. પશુપાલકોને પણ વધઘટ થતી ઠંડીને પગલે તેમના રહેઠાણની જગ્યાએ શેડ લગાવવા, જગ્યા આસપાસ ગરમી જળવાઈ રહે તે માટે ઘઉં કે અન્ય ખેત પેદાશની પથારી રાખવા સલાહ અપાઇ છે. પવનની દિશા બદલતાં ઠંડી ઘટવાના અણસાર‎અફઘાનિસ્તાન તરફથી આવી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોય અને ભારત નજીક આવતા પવનની દિશા બદલાઈ દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે જેના લીધે મોરબી જિલ્લામાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જ્યારે મહત્તમ 31 ડિગ્રી સુધી રહેશે. 18મીએ મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 12 થી13 વચ્ચે રહેશે. તા.19 ના રોજ 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 12 ડિગ્રી સેલ્સિયસ, તા. 20 મીના રોજ મહતમ 30 અને લઘુત્તમ 12 ડિગ્રી રહે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:30 am

સર્ચ ઓપરેશન હાથ ધરાયું:મોરબીના રાજપરમાં મહારાષ્ટ્ર પોલીસનું ઓપરેશન, 300 ગુણી સોપારી કબજે

મોરબી તાલુકાના રાજપર ગામ નજીક મહારાષ્ટ્રની છત્રપતિ સંભાજી નગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચાર-પાંચ દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાંથી તપાસ કરતા રાજપર ગામમાં આવેલા ગોડાઉનમાંથી તેઓના પોલીસ મથક વિસ્તારમાં ફ્રોડ કરીને મેળવવામાં આવેલી 300 ગુણી સોપારી આ સ્થળે છુપાવવામાં આવી હતી. જે સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસની ટીમે જપ્ત કર્યો હતો. રાજપર ગામના એક શખ્સ તેમજ તે વખતના ટ્રક માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે. મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર પોલીસ મથક વિસ્તારમાં અગાઉ છેતરપિંડી કરીને મોટા પાયે સોપારીનો જથ્થો મેળવી લેવામાં આવ્યો હતો જે પૈકી કેટલાક જથ્થો મોરબી જિલ્લામાં છૂપાવેલો હોવાની શંભાજીનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સંતોષ મીસલેને મળેલી માહિતી હતી. માહિતી આધારે મહારાષ્ટ્ર પોલીસની ટીમ મોરબી તાલુકા પોલીસ મથકના રાજપર ગામ ખાતે પહોંચી હતી અને ત્યાં આવેલા એક ભાડે રાખેલા ગોડાઉનમાંથી 300 ગુણી સોપારી પકડી પાડી હતી આ સોપારી GJ 19 X 4462 નંબરના ટ્રકમાં લાવવામાં આવી હોવાનું મહારાષ્ટ્ર પોલીસને જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસની ટીમે આ જથ્થો જપ્ત કર્યો હતો અને એમ એચ 18 એસી 2299 માં ભરી શંભાજીનગર પોલીસ મથક ખાતે રવાના કરવામાં આવ્યો હતો, જો કે ગેરકાયદેસર રીતે છેતરપિંડી કરીને મેળવેલી સોપારી માટે ભાડાનું ગોડાઉન રાખનાર ડેનિસ મારવણીયા તેમજ ટ્રકના માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરાઇ છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:26 am

વાંચે ગુજરાત:મોરબીમાં મનપા સંચાલિત ત્રણે લાઇબ્રેરીને નવા રંગરૂપ અપાયા, નવા 600થી વધુ પુસ્તકની ખરીદી

મોરબી મહાનગર પાલિકાની રચના થયા બાદ પુસ્તકો પ્રત્યે લગાવ વધે અને બાળકો થી લઇ વડીલો પુસ્તકો તરફ આકર્ષાય તે માટે ત્રણેય પુસ્તકાલયના રીનોવેશન કામ કરી નવા રંગ રૂપ આપવામાં આવ્યા છે. ગ્રીન ચોક ખાતેની લાયબ્રેરી લાંબા સમયથી બંધ હતી તે પણ ફરી શરુ થયા બાદ હવે તેમાં પુસ્તકો અને વાંચન માટે આવતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વાંચકોના ઉત્સાહમાં વધારો કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલયમાં પુસ્તકોનો આ નવો સ્ટોક વાચક રસિકો માટે મૂકવામાં આવશે, આ નવા સ્ટોકની યાદીમાં સાહિત્ય, સામાન્ય જ્ઞાન બાળ સાહિત્ય, નવલકથાઓ પ્રેરણાત્મક કથાઓ, મનોવિજ્ઞાનને લગતા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી યાદીથી પુસ્તકાલયમાં આવનાર દરેક વ્યક્તિને નવા પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ થશે જેનાથી મોરબી મહાનગરપાલિકામાં વસવાટ કરતા અને વાંચનાલય નિયમિત જતા વ્યક્તિઓને નવા પુસ્તકોના સ્ટોકથી અવનવા પુસ્તકોનું વાંચન મળી રહેશે. લોકોના રસનો એક પણ વિષય ચૂકાઇ ન જવાય તેની તકેદારી રખાઇ‎નવા પુસ્તકોની યાદીમાં સાહિત્યના પુસ્તકોમાં ચોથી દિવાલ, સારંગ નારંગીની નવી સફર, અતિ લોભ પાપનું મૂળ, ધમો ધમાલ અને બીજી વાર્તાઓ, મોરના ઈંડા ચીતરવા ન પડે, કથરોટી ગંગા, ઓખા મંડળની લોકકથાઓ, બાળ સાહિત્યમાં હેલ્ધી કિડ્સ, હાસ્ય રામ , પ્રેરણા, હાસ્ય લેખને લગતા પુસ્તકો, પ્રેરણાત્મક કથાઓ તત્વજ્ઞાન , મનોવિજ્ઞાન, પ્રાયોગિક વિજ્ઞાનને લગતા પુસ્તકો જેમાં આરોગ્યનો મહાકુંભ, આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, મેઘ ધનુષ્યની આત્માનો રંગ, ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ અને સહાયક વિષયો, સામાન્ય જ્ઞાનને લગતા પુસ્તકો તેમજ નવલ કથાઓના પુસ્તકો સ્ટોકમાં મૂકવામાં આવનાર છે. બાળ સાહિત્ય, વિજ્ઞાન અને પ્રેરક કથાના મળી 22,000 પુસ્તકોનો સમાવેશ‎મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ત્રણ પુસ્તકાલયનું સંચાલન કરવામાં આવે છે, જેમાં શ્રીમદ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય, મનસુખલાલ જીવરાજ મહેતા( કેસર બાગ) પુસ્તકાલયનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકાલયમાં મોરબી મહાપાલિકા દ્વારા 22,000 જેટલા પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ છે, પરંતુ આ યાદીને વિસ્તૃત કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વાચકો માટે દરેક લાઇબ્રેરીમાં 200 થી વધુ સાહિત્યના નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે. જેમાં બાળ સાહિત્યને લગતા પુસ્તકો, વિજ્ઞાન,સાહિત્ય, પ્રેરક કથા શિષ્ટ સાહિત્ય સહિતના અલગ અલગ પુસ્તકો વસાવાયા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:25 am

સિટી એન્કર:ઉત્તરાયણ પછી પણ પક્ષી માટે દોરા ઘાતક બન્યા,ફાયરબ્રિગેડમાં વહેલી સવારથી કોલ શરૂ થયા, 2 દિવસમાં વધુ 32 પક્ષીનું રેસ્ક્યૂ

ઉત્તરાયણના બે દિવસ બાદ પણ ઝાડ, થાંભલા અને તાર પર લટકતા દોરામાં પક્ષીઓ ફસાવાના કિસ્સાઓ ચાલુ જ રહ્યા છે. ગુરુવારે રાત સુધીમાં 18 અને શુક્રવારે બપોર સુધીમાં 14 પક્ષીઓનું ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ પક્ષીઓમાં સૌથી વધુ 29 કબૂતર, 2 સમડી તથા 1 કાગડાને બચાવવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે 6.20 કલાકથી પક્ષીઓ દોરામાં ફસાયા છે, તેવા કોલ ફાયરબ્રિગેડને ચાલુ થઇ ગયા હતા. જેમાં ગોત્રી, સુભાનપુરા, જ્યુબિલીબાગ, વાઘોડિયા રોડ, ન્યૂ સમા રોડ, વાડી, આજવા રોડ, કારેલીબાગ, વાસણા રોડ વિસ્તારનો સમાવેશ થાય છે. આખો દિવસ ફાયરબ્રિગેડની ટીમોએ શહેરમાં પક્ષીઓને બચાવવા માટે જહેમત હાથ ધરી હતી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારો એવા હતા જ્યાંથી ફાયરબ્રિગેડને એકેય પક્ષી દોરામાં ફસાયાનો કોલ આવ્યો ન હતો. તેમાં દિવાળીપુરા, ભાયલી અને વારસિયાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના દિવસોમાં અગાઉ લોકો વહેલી સવારથી જ ધાબા પર ચઢીને પતંગ ચગાવતા હતા. હવે એ ક્રેઝ પણ ઓછો થતાં પક્ષીનો માળામાંથી નીકળવાના સમયે ફસાવાના બનાવો ઓછા થયા છે. ઓછા પવનમાં પતંગો ઓછી ઊડતાં પક્ષી ફસાવાની ઘટના ઘટી2-3 વર્ષથી ઉત્તરાયણમાં રેસ્ક્યૂ કરાયેલાં પક્ષીમાં કબૂતરો જ વધુ હોય છે. કોઇકવાર કાગડા અને 2-5 સમડી ફસાય છે. અગાઉ કાળી ચાંચ ઢોંક, પીળી ચાંચ ઢોંક, બગલા, કાંકણસાર અને પોપટ જેવાં પક્ષી ફસાતાં હતાં. પક્ષીવિદ્ પ્રો.ગીતા પડતે કહે છે કે, ઉત્તરાયણમાં પવન ધીમો હોવાથી પતંગો ઓછી ઊડી અને ઝાડ-તાર પર ઓછા દોરાને લીધે પક્ષી ઓછાં ફસાયાં. પક્ષી વૈવિધ્ય ઓછું થયું નથી. છેલ્લાં 5 વર્ષમાં પક્ષી ફસાવાના બનાવો ઘટીને અડધા થયાહું 2012થી પક્ષીઓનું રેસ્ક્યૂ કરું છું. ઉત્તરાયણમાં દોરામાં પક્ષી ફસાવાના બનાવો ઘટ્યા છે. 5 વર્ષમાં સંખ્યા અડધી થઇ ગઇ છે. વર્ષ 2020 પહેલાં 10 થી 20 જાન્યુઆરી સુધીમાં 700થી 1 હજાર પક્ષીનાં રેસ્ક્યૂ થતાં હતાં, હવે સંખ્યા 200-250 થઈ છે. વનવિભાગ પણ ઘાયલ પક્ષીનાં 60થી 70 કલેક્શન કેમ્પ કરતો હતો. આ વર્ષે તે 29 થયા છે. > હેમંત વઢવાણા, વન્યજીવ કાર્યકર

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:17 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મુંબઈમાં પહેલીવાર ભાજપનો મેયર બની શકે; ચાંદીના ભાવમાં ₹40,000નો વધારો, 17 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓ વિશે હતા. મુંબઈમાં પહેલી વાર ભાજપનો મેયર બની શકે છે. બીજા મોટા સમાચાર ચાંદીના રેકોર્ડ બનાવવા વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મહારાષ્ટ્ર કોર્પોરેશનના પરિણામોઃ 29માંથી 25માં ભાજપ+ આગળ:2833 બેઠકોનું પરિણામ જાહેર, મુંબઈમાં 227માંથી 118 બેઠકો પર ભાજપ ગઠબંધનની જીત મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધન પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે. વલણો દર્શાવે છે કે ભાજપ ગઠબંધન 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 25 પર આગળ છે. મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના 227 વોર્ડના પરિણામો શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ભાજપ+શિવસેના (શિંદે) ગઠબંધન 227માંથી 118 બેઠકો પર આગળ છે. જેમાં ભાજપે 89, શિવસેનાએ 29, કોંગ્રેસે 24, શિવસેના (UBT) એ 65 અને MNS એ 6 બેઠકો જીતી છે. આ ઉપરાંત, AIMIM ને 8, NCP ને 3, સમાજવાદી પાર્ટીને 2 અને NCP (SP) ને માત્ર એક બેઠક મળી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની 20 જાન્યુઆરીએ ચૂંટણી:પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું; હાલ નીતિન નબીન છે કાર્યકારી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, 19 જાન્યુઆરીના રોજ આ માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, જ્યારે 20 જાન્યુઆરીના રોજ BJPના નવા અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં નીતિન નબીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટી તેમને જ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટી શકે છે. ગયા વર્ષે 14 ડિસેમ્બરે નીતિન નબીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ચાંદીમાં 4 દિવસમાં 40 હજારનો ધરખમ વધારો:આજે પણ ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામ સોનાનો ભાવ પણ વધીને રુ. 1.42 લાખે પહોંચ્યો આજે 16 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર ચાંદીની કિંમત 5,208 રૂપિયા વધીને 2.83 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. આ પહેલાં 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત 2.77 લાખ રૂપિયા હતી. ચાર દિવસમાં ચાંદી 40 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે સોનાના ભાવમાં ત્રણ દિવસની તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 298 રૂપિયા ઘટીને 1,41,717 રૂપિયા પર ખૂલ્યો હતો. 14 જાન્યુઆરીએ તેણે 1,42,015 રૂપિયા પર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કોંગ્રેસનો આરોપ- ભારતે ચાબહાર પોર્ટ પરથી નિયંત્રણ છોડ્યું:ટ્રમ્પના દબાણ હેઠળ ₹1100 કરોડ બરબાદ કર્યા; વિદેશ મંત્રાલયનો ઇનકાર કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ ટ્રમ્પના દબાણ હેઠળ ઈરાનના ચાબહાર પોર્ટ પરથી નિયંત્રણ છોડી દીધું છે. પાર્ટીએ X પર લખ્યું- મોદી સરકારે ચાબહાર પ્રોજેક્ટમાં દેશની જનતાના 120 મિલિયન ડોલર (લગભગ 1100 કરોડ રૂપિયા) રોક્યા હતા. હવે તે બરબાદ થઈ ગયા છે. કોંગ્રેસના આ આરોપને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ફગાવી દીધો. તેમણે કહ્યું કે ઈરાનના ચાબહાર પોર્ટ સંબંધિત યોજનાઓ ચાલુ છે. તેમને આગળ વધારવા માટે ભારત, અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ICCએ પોતાની ભૂલ સુધારી:રેન્કિંગમાં કોહલીના નંબર-1 રહેવાના દિવસો ઓછા જણાવ્યા હતા, પહેલા પણ ઘણી ભૂલો થઈ છે ICCએ આ સપ્તાહે જાહેર કરાયેલી રેન્કિંગમાં એક ભૂલ કરી હતી, જેને હવે કાઉન્સિલે સુધારી લીધી છે. 14 જાન્યુઆરીએ જાહેર કરાયેલા વન-ડે રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર-1 બેટર બન્યો હતો, પરંતુ ICCએ ભૂલથી તેના નંબર-1 રહેવાના કુલ દિવસો ઓછા જણાવ્યા હતા. બાદમાં ICCએ સ્પષ્ટ કર્યું કે વિરાટ વન-ડે ક્રિકેટમાં કુલ 1,547 દિવસ સુધી નંબર-1 બેટર રહ્યો છે. વિરાટ વન-ડેમાં 11મી વખત નંબર-1 વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 93 રનની ઇનિંગ રમી હતી, જેનો તેને સીધો ફાયદો મળ્યો. તેના હવે 785 રેટિંગ પોઈન્ટ્સ થઈ ગયા છે. વિરાટ જુલાઈ 2021 પછી પ્રથમ વખત અને ઓવરઓલ પોતાની કારકિર્દીમાં 11મી વખત નંબર-1 વન-ડે બેટર બન્યો છે. ગયા અઠવાડિયે તે નંબર-2 પર હતો. તેણે રોહિત શર્માને પાછળ છોડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 17 ફેબ્રુઆરીએ રજૂ કરાશે ગુજરાત બજેટ:16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી બજેટ સત્ર મળશે, 23 દિવસમાં 26 બેઠક યોજાશે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી તા.16 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રની બેઠક મળશે.આ બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કામકાજ સલાહકાર સમિતિને બેઠક બોલાવશે. તેમજ સત્ર પહેલા મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં બેઠકો અને ચર્ચા અંગેનો આખરી નિર્ણય કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમાં અનેક નીતિવિષયક વિધેયકો પણ પસાર થશે. જ્યારે 17 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ‘અલ્પેશ કથીરિયાએ મારા વાળ પકડ્યા અને બે તમાચા માર્યા’:ભાઈની પતંગની દુકાને ગ્રાહકને ઢીકા પાટુનો માર માર્યો, પાટીદાર નેતા સહિત ત્રણ સામે ગુનો સુરતમાં ઉતરાયણના પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા છે. કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી, જેમાં અલ્પેશ કથિરીયા સહિત ત્રણ વ્યક્તિઓ સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. પાટીદાર પાઘડીવાળા પતંગના દુકાનના માલિક અંકિત ખંભાળ દ્વારા સામે પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર કૈલાશબેન ભાલિયાના પુત્ર ચંદ્રેશ ભાલિયા સહિત ચાર સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમ ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ UPA સરકારના 2 વધુ કાયદા બદલાશે: મનરેગા પછી શિક્ષણ અને ખાદ્ય સુરક્ષા અધિકાર કાયદામાં સુધારાની તૈયારી શરૂ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ 'કર્ણને કુંતીને મળવાનો અધિકાર': નેધરલેન્ડના મેયર 41 વર્ષ પછી માતાને શોધવા ભારત આવ્યા, જન્મના ત્રીજા દિવસે માતાએ શેલ્ટર હોમમાં છોડ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ ઘરના ઓટલે બેઠેલી મહિલાઓ પર કાર ચઢી ગઈ: સ્ટૂલ સહિત એક મહિલાને ફંગોળી, ગંભીર રીતે ઘાયલ; લોકોએ ડ્રાઈવરને પકડ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ અમેરિકી રાજદૂતની ઈરાનને ચેતવણી:ટ્રમ્પ ખાલી વાતો નથી કરતા, એક્શન લે છે; ઈરાનનો જવાબ- હુમલો કર્યો તો છોડીશું નહીં (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ક્રિકેટઃ વિશ્વરાજ જાડેજાની સદીથી જીત્યું સૌરાષ્ટ્ર:ચોથી વાર વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં જગ્યા બનાવી, પંજાબને 9 વિકેટે હરાવ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ રવિવારે મૌની અમાસ:પવિત્ર સ્નાન, દાન અને પિતૃ તર્પણનું મહત્વ; જાણો સુખ-સમૃદ્ધિ માટેના ખાસ ઉપાયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ 1 ફેબ્રુઆરીએ રવિવાર, છતાં શેરબજાર ખુલશે:2026નું બજેટ આવશે; BSE-NSEનો નિર્ણય- સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) અજબ ગજબ યુપીમાં કૂતરાની પૂજા કરવા માટે 50,000 લોકો ભેગા થયા ઉત્તર પ્રદેશના બિજનોરમાં 50,000 લોકોની ભીડ એક કૂતરાની પૂજા કરવા માટે એકઠી થઈ હતી. લોકોએ અહેવાલ આપ્યો કે કૂતરો ચાર દિવસથી મંદિરમાં બજરંગબલી અને દેવી દુર્ગાની મૂર્તિઓની પરિક્રમા કરી રહ્યો હતો. લોકો માને છે કે કૂતરો ભગવાન ભૈરવનું સ્વરૂપ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: એક ડોલરમાં મોતના સમાચાર:Are You Dead એપ ધડાધડ ડાઉનલોડ, દર બીજા દિવસે પૂછે મરી તો નથી ગયા, ચીને એકલતાની ડરામણી હકીકત બતાવી 2. આજનું એક્સપ્લેનર:'મરાઠી માણૂસ' મુદ્દો BMC ચૂંટણીમાં ફેલ; ભાજપે સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કેવી રીતે જીતી? શું ઉદ્ધવ-રાજની ગેમઓવર? 3. પહેલા નિકાહ નોકરાણી સાથે, પરિણીત હોવા છતાં ત્રીજી વાર પરણ્યા:'પાકીઝા' ફૅમ ડિરેક્ટર પત્ની મીના કુમારીને ગુલામની જેમ રાખતો, ફિલ્મ માટે બકરાં-મરઘાની બેફામ કતલેઆમ કરી 4. 'પત્નીએ બર્થડે ગિફ્ટમાં દુકાન માગી ને જિંદગી બદલાઈ ગઈ':અમદાવાદમાં માત્ર 21 રૂપિયાના ટોકનથી ફ્લેટ વેચી ચર્ચામાં આવ્યા, રિયલ એસ્ટેટમાં પૈસા વગર પણ કમાઈ શકાય 5. H-1ના નિયમોના કારણે ગુજરાતીઓની હાલત કફોડી થઇ:કોઇના લગ્ન અટક્યા તો કોઈનો પરિવાર ફસાયો, એક્સપર્ટે કહ્યું, 2 વર્ષ અમેરિકાની બહાર ન નીકળતા 6. બે ભાગમાં વહેંચાઈ બાંગ્લાદેશ આર્મી, શું સિવિલ વોર થશે?:હિંસા પાછળ પાકિસ્તાન સમર્થક અધિકારીઓ, સ્ટુડન્ટ લીડર્સે કહ્યું, તખતાપલટનું કાવતરું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: કન્યા રાશિની નાણાકીય સમસ્યા ઉકેલાશે, મકર જાતકોને મહેનતનું પરિણામ મળશે, સિંહ જાતકોએ દખલગીરી ટાળવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:00 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:ગાંધીગ્રામમાં કાર, બાઈક વચ્ચે અકસ્માત, યુવક ઇજાગ્રસ્ત

મૂળ માધવપુર ઘેડના હાલ મેંદરડા રહેતા 35 વર્ષીય જીગરભાઈ પરસોત્તમભાઈ સિદ્ધપુરા ગઈ તા. 5 જાન્યુઆરીના રોજ સવારે તેના ભાઈ સાથે જીજે 11 ક્યુ 91 65 નંબરની બાઈક પર મેંદરડા થી જૂનાગઢ તરફ આવતા હતા ત્યારે જૂનાગઢમાં ગાંધીગ્રામ પાસે મામાદેવના મંદિર નજીક પહોંચતા વળાંકમાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે 01 ડબલ્યુએચ 3516 નંબરની સફેદ કલરની કારના ચાલકે બાઈકને ટક્કર મારી જીગરભાઈને ઇજા પહોંચાડી વાહન સાથે કાર ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસતને 108 એમ્બ્યુલન્સ મારફત પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા હતા. બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં માળીયા હાટીના તાલુકાના ગડુના સંજયભાઈ લખમણભાઇ મજેઠીયા ગત તા. 7 જાન્યુઆરીના રોજ સવારે જીજે 07 સીબી 2373 નંબરનું બાઈક લઈને માંગરોળ ખાતે મચ્છી લેવા નીકળ્યા હતા. ત્યારે કુકસવાડા ગામ પાસે બેટરીવાળા જીજે 11 સીએમ 6010 નંબરના બાઈક ના ચાલક ડાયાભાઈ નારણભાઈ પંડિતએ સંજયભાઈના બાઇકને ટક્કર લગાવતા ગંભીર ઇજા થવાથી જૂનાગઢ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અક્સ્માત અંગે ઇજાગ્રસ્તના પત્ની જીવતીબેને ફરિયાદ કરતા ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:59 am

પોલીસની સરાહનીય કામગીરી:5 વર્ષનું બાળક તેની માતાથી વિખૂટું પડ્યું, શોધી મિલન કરાવ્યું

શહેરમાં માંગનાથ રોડ બજારમાંથી 5 વર્ષનું બાળક તેની માતાથી વિખૂટું પડી ગયું હતું જોકે પોલીસે શોધી મિલન કરાવ્યું હતું. શહેરના મજેવડી દરવાજા પાસે આવેલ ચુનારાવાસમાં રહેતા મેમકાબેન સંજયભાઈ સોલંકી ગુરુવારે સગાઈ પ્રસંગની ખરીદી કરવા 5 વર્ષના પુત્ર ચંદ્ર સાથે શહેરની માંગનાથ રોડ બજારમાં આવ્યા હતા. બાળક પોતાને હાથ આંગળીએ બજારમાં સાથે હતું અને ભીડ દરમિયાન બાળક હાથથી છૂટો પડી ગયો હતો. જેને એક થી દોઢ કલાકનો સમય વીતી ગયો હતો. શોધખોળ કરવા છતાં પણ બાળક નહીં મળી આવતા મહિલા રડતા હૈયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. મહિલાની આપવી હતી સાંભળી તેને હિંમત આપી પીઆઇ વી. જે. સાવજના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે બાળકનો ફોટો મેળવી માંગનાથ તેમજ પંચહાટડી ચોક વિસ્તારની શેરીઓમાં તપાસ કરી બાળકને શોધી તેની માતાને સોંપી આપ્યું હતું. ત્વરિત કામગીરીથી બાળક પરત મળતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:58 am

પોલીસની સરાહનીય કામગીરી:વેપારીનું સુકામેવાનું પાર્સલ પડી ગયું, સીસીટીવી મદદથી શોધી પરત કર્યું

શહેરના એક વેપારીનું સૂકા મેવાનું પાર્સલ રસ્તામાં પડી ગયું હતું. જોકે પોલીસે સીસીટીવી મદદથી શોધી પરત કર્યું હતું. વેપારી શકીલભાઈ વિધા દાણાપીઠમાંથી સુકામેવાનું પાર્સલ લઈને ગાડી પર જઈ રહ્યા હતા. દરમ્યાન ગાડી પરથી રૂપિયા 4 થી 5 હજારના સુકામેવાનું પાર્સલ રસ્તામાં પડી ગયું હતું. જેની જાણ વેપારીને દુકાને પહોંચતા થઈ હતી. જેના પગલે વેપારીએ સમગ્ર રુટ પર તપાસ કરતા મળી આવેલ નહીં. જેથી પ્રથમ દાણાપીઠ ખાતેની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા પાર્સલ હેઠાણ ફળિયા રોડ પર પડી ગયું હોવાનું અને એક સ્કૂટર ચાલક પોતાનું વાહન રોકી આજુબાજુ જોઈ અને પાર્સલ લઈ રવાના થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. જે કુટેજ લઈ વેપારીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના જાગૃત પીઆઈ વત્સલ સાવજ પાસે જઈ રજૂઆત કરતા તેમણે તાકીદે પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશ ચૌહાણને તપાસ કરવા સૂચના આપી હતી. આ અંગે જમાદાર નિલેશ ચૌહાણ દાણાપીઠ વિસ્તારના સીસીટીવી કુટેજ ચેક કરતાં સ્કૂટરના આછા દેખાતા નંબર અંગે નેત્રમ શાખાનો સંપર્ક કરી સ્કૂટર ચાલક લક્ષ્મીનગર ખાતે રહેતો હોવાની માહિતી મેળવી સ્થળ ઉપર જઈ સ્કૂટર ધારક પાસેથી પાર્સલ મેળવી વેપારીને પરત અપાવી પોલીસ પ્રજાનો રક્ષક હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:57 am

સામૂહિક ગાયત્રી યજ્ઞ‎નું આયોજન કરાયું:પૂજન વિજ્ઞાન છે, જે આચારસંહિતા શીખવાડે છે, યજ્ઞનો ધુમાડો અનેક વ્યાધિ દૂર કરે છે : શાસ્ત્રીજી

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ પર આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલતા ગુજરાત યોગ બોર્ડ સંચાલિત આશુતોષ યોગ કલાસને એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું, આ યજ્ઞકાર્યમાં યોગ ક્લાસની સંખ્યાબંધ મહિલાઓ હોંશભેર જોડાઈ હતી. જૂનાગઢના પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી રવિભાઈ દવેએ વ્યાસાસનેથી દરેક વિધિ કરાવતા પહેલા એ શા માટે કરવી જોઈએ એ પણ સુંદર રીતે સમજાવ્યું હતું. શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, દેવ-દેવીઓનું પૂજન એ એક પ્રકારનું સાયન્સ છે, જે સમગ્ર માનવ જાતને આચારસંહિતા શીખવાડે છે. નવગ્રહના સમિધ યજ્ઞ કુંડમાં હોમવામાં આવે છે ત્યારે તેમાંથી જે વાયુ નીકળે છે તે અસંખ્ય બીમારીઓને દૂર કરે છે. આપણા ઋષિમુનિઓ દીર્ઘદ્રષ્ટા હતા અને એટલે જ તેમણે માનવજાતને બીમારીઓથી દૂર રાખવા માટે આ પ્રકારનું સંશોધન કર્યું હતું. યજ્ઞમાં 53 પ્રકારની ઔષધીઓ હોમવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા આવી રીતે પ્રથમવાર સામૂહિક ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. આ ગાયત્રી યજ્ઞમાં ગુજરાત યોગ બોર્ડના જૂનાગઢ મનપા કો-ઓર્ડીનેટર વૈશાલીબેન ચુડાસમા અને યોગકોચ ભગવાનજીભાઈ ચૌહાણ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી યજ્ઞના લાભાર્થી મહિલાઓ

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:50 am

LVPમાં જયતીર્થ મેવુંદીનું શાસ્ત્રીય ગાયન:વહાને સિસ્ટર્સની સિતાર-સંતુર જુગલબંધી

મહારાજા રણજીતસિંહ ગાયકવાડ બરોડા ફેસ્ટિવલ ઓફ આર્ટ્સતેની પાંચમી આવૃત્તિ સાથે 17 અને 18 જાન્યુઆરીના રોજ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાશેે. રાજમાતા શુભાંગીનીરાજે, મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે દ્વારા આયોજિત આ ઉત્સવ ગાયકવાડી પરંપરાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાત્મક ને સમર્પિત છે. બે દિવસીય આ મહોત્સવમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને દૃશ્ય કલાના અગ્રણી કલાકારો એક મંચ પર પ્રસ્તુતિ આપશે. આ સાથે ઉત્સવ દરમિયાન રાજા રવિ વર્મા એવોર્ડ, ઉસ્તાદ ફૈયાઝ ખાન એવોર્ડ તથા ઉભરતી ગાયન પ્રતિભા માટે વિશેષ શિષ્યવૃત્તિ દ્વારા કલાત્મક શ્રેષ્ઠતાનું સન્માન કરવામાં આવશે. આ વર્ષની આવૃત્તિમાં વહાને સિસ્ટર્સની સિતાર-સંતુર જુગલબંધી, પંડિત ભીમસેન જોશી પરંપરાના ગાયક જયતીર્થ મેવુંદી, પ્રસિદ્ધ ઓડિસી ગુરુ ગૌરીશંકર દાસ તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયિકા કૌશિકી ચક્રવર્તીની પ્રસ્તુતિ વિશેષ આકર્ષણ રહેશે. ઉપરાંત, પ્રસિદ્ધ શિલ્પકાર ધ્રુવ મિસ્ત્રી તેમની પાંચ દાયકાની કલાત્મક યાત્રા અંગે આર્ટ ટોક દ્વારા વિચારવિમર્શ કરશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:50 am

ભાસ્કર એક્સક્લુસિવ:માહિતી આપવામાં વિલંબ કેમ કર્યો ? લેખિત ખુલાસો માંગ્યો

માહિતી અધિકાર અધિનિયમ-2005 (RTI) હેઠળ માંગવામાં આવેલી વિગતો સમયમર્યાદામાં પૂરી ન પાડવી હવે સરકારી બાબુઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જૂનાગઢની ટીંબાવાડી પ્રાથમિક શાળાના જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ ગુજરાત માહિતી આયોગે કડક વલણ અપનાવ્યું છે. અરજદાર નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી કે. પી. પટેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આયોગે આગામી 10 ફેબ્રુઆરી 2026ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાસ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. અરજદાર કે. પી. પટેલે ગત 10 નવેમ્બર 25 ના રોજ નિયત નમૂના 'ક' મુજબ માહિતી માંગી હતી. જોકે, નિર્ધારિત સમયમાં સંતોષકારક માહિતી ન મળતા અથવા પ્રથમ અપીલ અધિકારીના નિર્ણયથી નારાજ થઈને અરજદારે આયોગના દ્વાર ખટખટાવ્યા હતા. આ મામલે આયોગે ગંભીર નોંધ લેતા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જાહેર માહિતી અધિકારી લતાબેન ઉપાધ્યાયને નોટિસ ફટકારી છે. કલેક્ટર કચેરી ખાતે સુનાવણી યોજાશેઆગામી 10 ફેબ્રુઆરીએ સવારે 10 કલાકે જૂનાગઢ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે આ સુનાવણી યોજાશે. આયોગે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો માહિતી આપવામાં જાણીજોઈને વિલંબ થયો હશે, તો કલમ-20 હેઠળ અધિકારી વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કેમ ન કરવી તેની લેખિત સ્પષ્ટતા રજૂ કરવી પડશે. 72 કલાક પહેલા વેબસાઇડ પર‎ઓનલાઇન રિપોર્ટ અપલોડનો આદેશ‎આયોગે બંને પક્ષોને જણાવ્યું છે કે જો કોઈ લેખિત રજૂઆત કે અહેવાલ‎હોય તો સુનાવણીના 72 કલાક પહેલા આયોગની વેબસાઇટ પર‎ફરજિયાત અપલોડ કરવાના રહેશે. જો કોઈ પક્ષકાર હાજર નહીં રહે, તો‎ઉપલબ્ધ પુરાવાઓના આધારે એકતરફી નિર્ણય લેવામાં આવશે તેવી‎ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં આરટીઆઈ હેઠળ‎માહિતી છુપાવવાની વૃત્તિ સામે આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.‎

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:48 am

રિયલ એસ્ટેટ સેક્ટર:ઔદ્યોગિક બૂસ્ટ, માળખાગત રોકાણ-રહેણાંક ક્ષેત્રે મજબૂત માગ

દેશના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી રહ્યો છે. વડોદરા શહેરનો પૂર્વીય પટ્ટો હવે માત્ર એક વિકાસક્ષેત્ર નહીં, પરંતુ આગામી વિકાસ તબક્કાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. મોટા પાયે માળખાગત પ્રોજેક્ટ્સ, વધતી રહેણાંક માંગ અને મહત્વપૂર્ણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સાથે પૂર્વ વડોદરા રોકાણકારો અને ઘરની ખરીદદાર બંને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા રિયલ એસ્ટેટ આઉટલુક અને બિલ્ડર્સ એન્ડ પ્રોજેક્ટ્સ – વડોદરા રિયલ એસ્ટેટ માર્કેટ અપડેટ મુજબ, આ વિસ્તારમાં ભૂમિ મૂલ્યોમાં છેલ્લા 24–36 મહિનામાં 60 થી 80% સુધીનું વધારો થયો છે, જેમાં ભાવ હવે ₹4,500–₹5,000 પ્રતિ ચોરસ ફૂટ સુધી પહોંચ્યા છે. જૂથ ખેડૂતો થી લઈને ઘર ખરીદનારાઓ સુધીને આ વિસ્તારોમાં રોકાણ કરવા પ્રેરિત કરી રહ્યા છે. વડોદરા શહેર લગભગ 200થી વધુ મધ્યમ અને મોટા ઉદ્યોગો, 3 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZs) અને 13 ઔદ્યોગિક પાર્કોનું ઘર છે, જેમાં ઘણા મહત્ત્વના મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અને ઉત્પાદન એકમો સામેલ છે. શહેરનું ઔદ્યોગિક આધાર બેઝમાં રાસાયણિક, ફાર્મા, મશીન ટૂલ્સ, ઇલેક્ટ્રિકલ ઇકો ઇકોસિસ્ટમનો ભાગ છે. પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક ઉત્પાદન અને ઉચ્ચ મૂલ્યવદ્ધિત ઉત્પાદન માટે મોટા પ્રોજેક્ટ્સ ચાલુ છે. જેમકે ₹5,894 કરોડ ના ઇન્ડિયન ઓઈલ મલ્ટી-યૂનિટ પ્લાન્ટનું નિર્માણ, જે પડોશી MSMEs અને ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ માટે મોટી માગ સર્જે છે.પૂર્વ વિસ્તાર વૃદ્ધિને માત્ર રિયલ એસ્ટેટ જ નહીં, પરંતુ રોજગાર અને ઔદ્યોગિક રોજગારી પણ ટેક આપી રહી છે. નવી માળખાગત કેપેસિટીઓ રોજગારી અને આવકમાં વધારો કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:48 am

ગિરનારની ગોદમાં ઇતિહાસ સર્જાશે:જટાશંકર મંદિરે 19થી 28 સુધી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર લાભાર્થે શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આગામી તા. 19મીથી 27 જાન્યુઆરી દરમિયાન શ્રી જટાશંકર મહાદેવ પટાંગણ, ગિરનાર પર્વત, જૂનાગઢ ખાતે આ ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવ યોજાશે. તા. 28 જાન્યુઆરીના રોજ દેવીયાજ્ઞ, મહાકાલી તથા શિવ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જટાશંકર મહાદેવ મંદિરના મહંત પૂર્ણાનંદજી ગુરુ બાલાનંજીએ જણાવ્યું હતું કે, બ્ર.પૂ. ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજી બાપુ, બ્ર.પૂ. બાલાનંદજી ગુરુ ગોપાલાનંદજી બાપુના આશીર્વાદ અને જટાશંકર મહાદેવની કૃપાથી આ કથાનું આયોજન કરાયું છે. આ નવદિવસીય દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં કથાકાર વક્તા ડૉ. મહાદેવપ્રસાદ મહેતા (વિદ્યા- વાચસ્પતિ) દ્વારા માં ભગવતીનો મહિમા, શક્તિ ઉપાસના, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સંદેશ અપાશે. કથા દરમિયાન દેવીના વિવિધ પ્રસંગો જેવા કે હયગ્રીવ પ્રાગટ્ય, શુકદેવ પ્રાગટ્ય, પરમેશ્વરી પ્રાગટ્ય, મહિષાસુર મોક્ષ, અંબિકા માતા દર્શન, રાધાકૃષ્ણ ઉપાસના, તુલસી વિવાહ, ગાયત્રી મહાવિદ્યા તથા દેવીઆગમ અને મહાકાળી તથા શિવ ભક્તિ પ્રાગટ્ય જેવા પવિત્ર પ્રસંગોનું ભાવભર્યું વર્ણન કરવામાં આવશે. દરરોજ સવારના 9થી બપોરે 1 વાગ્યા સુધી આ કથા યોજાશે. પર્યાવરણ સંરક્ષણના હેતુ માટે કથા સ્થળે પ્લાસ્ટિક પ્રતિબંધિત રહેશે. આથી પ્લાસ્ટિક થેલીઓ, બોટલ્સ, કપ કે અન્ય પ્લાસ્ટિક સામગ્રી લઈને આવવું નહી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 4:47 am