200 થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાય છે.:ભાવનગરમાં ''બચપન ચેરીટેબલ ટ્રસ્ટ'' ની દૈનિક અન્ન વિતરણ સેવા
ભાવનગરમાં “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા દૈનિક અન્ન વિતરણ સેવા ચલાવવામાં આવે છે. આ સેવા અંતર્ગત, 18 એપ્રિલ 2026 ના રોજ યુવા પત્રકાર પાર્થભાઈ રમેશભાઈ મહેતાએ તેમના જન્મદિવસ નિમિત્તે ભાવનગરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ભોજન વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 200 થી વધુ શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજનમાં રસ, પૂરી અને શાકનો સમાવેશ થતો હતો. પાર્થ મહેતાએ તેમના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદોને ભોજન કરાવીને કરી હતી. “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આ સેવાભાવી કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આર્થિક રીતે નબળા અને ફૂટપાથ કે બ્રિજ નીચે આશરો લઈને રહેતા શ્રમિક પરિવારો માટે કુદરત પણ ક્યારેક કેટલી ક્રૂર બની શકે છે, તેનો જીવંત અને હૃદયદ્રાવક દાખલો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતા એક શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાત્રિના સમયે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે એક ઝેરી સાપે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીને દંશ મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બ્રિજ નીચે સૂતેલી બાળકીને સાપે ડંખ માર્યોમળતી માહિતી મુજબ, જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતી મેઘનાબેન ઠાકોર નામની મહિલા તેની સાડા ત્રણ વર્ષની દીકરી મહેક અને તેની નાની સાથે રહેતી હતી. શનિવારની મધ્યરાત્રિએ અંદાજે 1:00 વાગ્યાના સુમારે આ કરુણ ઘટના બની હતી. મહેક તેની માતા અને નાની પાસે શાંતિથી નિદ્રા માણી રહી હતી. ગરમી અને ખુલ્લા વાતાવરણને કારણે બ્રિજ નીચે પથરાયેલા પલંગ કે ગોદડા પર સૂતેલી આ માસૂમ બાળકી પર અચાનક એક ઝેરી ડંખ માર્યો હતો. મોડી રાત્રે બચાવો-બચાવોની બૂમો પડીસાપે બાળકીના શરીરે ડંખ મારતા જ મહેક પીડાથી ચીસ પાડી ઉઠી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને માતા મેઘનાબેન અને નાની તુરંત જ જાગી ગયા હતા. આસપાસ તપાસ કરતા ત્યાં સાપ હોવાનું જણાતા પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. અડધી રાત્રે બ્રિજ નીચે બચાવો-બચાવોની બૂમો પડતા આસપાસના અન્ય શ્રમિકો પણ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ તબીબે મૃત જાહેર કરીબાળકીને સાપ કરડ્યો હોવાનું માલૂમ પડતા જ પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોતના સમાચાર સાંભળતા જ માતા મેઘનાબેન હોસ્પિટલના પટાંગણમાં જ ભાંગી પડ્યા હતા. આ ઘટના પાછળની કરુણતા એ છે કે મૃતક મહેક તેની માતા મેઘનાબેનનું એકમાત્ર સંતાન હતી. મેઘનાબેનના પતિ તેમનાથી અલગ રહેતા હોવાથી, મેઘનાબેન મજૂરી કામ કરીને પોતાની દીકરીનું લાલનપાલન કરતા હતા. તેમની દુનિયા માત્ર આ સાડા ત્રણ વર્ષની દીકરીની આસપાસ જ ફરતી હતી.
અમદાવાદના સિવિલ હોસ્પિટલના નર્સ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. નર્સને અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કર્યાં બાદ નર્સના ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સે સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ ડાઉનલોડ કરીને 7 લાખ ઉપડી ગયાનવા નરોડામાં રહેતા 55 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. નર્સને 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં RTO ચલણની APK ફાઇલ હતી. RTO ચલણ હોવાથી નર્સે ફાઈલ ડાઉનલોડ કરી હતી. આ ફાઇલ ડાઉનલોડ કર્યાં થોડા દિવસમાં જ નર્સના બેંકના ખાતામાંથી 5 અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સને જ્યારે બેન્કનો મેસેજ આવ્યો ત્યારે તેમને તપાસ કરી હતી. નર્સ બેંકમાં ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર તેમણે બેંક એકાઉન્ટમાંથી 7 લાખ ઉપાડી દીધા છે. નર્સે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવિવારે અખાત્રીજના શુભ અવસરે ખેડૂતોએ ખેતરમાં ખેડાણ શરૂ કરવાનો શુભ મુહૂર્ત કર્યો હતો. આ સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત થઈ છે. હિંમતનગરના બેરણા સહિતના ગામોમાં વહેલી સવારે ખેડૂતોએ પરંપરાગત રીતે ખેતરમાં જઈ કૃષિ કાર્યની શરૂઆત કરી હતી. આ શુભ દિવસે ખેડૂતોએ પોતાના બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ ખેતરમાં હળ ચલાવીને વિધિવત રીતે ખેતીના કામનો પ્રારંભ કર્યો હતો. ગામડાઓમાં આ પ્રસંગે ધાર્મિક અને પરંપરાગત વાતાવરણ જોવા મળ્યું હતું. ખેડૂતો હવે આજથી ખેતીના કામમાં વ્યસ્ત બનશે. હાલના સમયમાં અસહ્ય ગરમી હોવા છતાં ખેડૂતોએ ખેતરની તૈયારી શરૂ કરી છે. ખેતરને તપાવ્યા બાદ ચોમાસાની શરૂઆત થતા વાવણી સહિતની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવશે. અખાત્રીજના દિવસે કૃષિ કાર્ય શરૂ કરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ખેડૂત સમુદાય માટે આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે.
આજરોજ અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધતા ભાવ વચ્ચે પણ લોકો તેના પરિવાર માટે સોનાના દાગીનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે વેપારીઓનાં મતે ભાવમાં વધારો થવાની અસર ઘરાકી ઉપર વિપરીત પડી છે, અને ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ તકે આગામી સમયમાં સોનાના ભાવોમાં હજુ વધારો થવાની શક્યતા વેપારીઓ અને ગ્રાહકોએ પણ વ્યક્ત કરી હતી. ડોલીબેન જગડ નામના ગ્રાહકે જણાવ્યું કે, સોના-ચાંદીની ખરીદી માટે અખાત્રીજના દિવસનું ખૂબ જ મહત્વ છે. ગત વર્ષ કરતા સોનાના ભાવ ઘણા વધારે છે, છતાં પણ અમે મુહૂર્ત સાચવવા માટે ખરીદી કરવા આવ્યા છીએ. અહીં દાગીનામાં ઘણી સારી વેરાયટીઓ જોવા મળી રહી છે. મેં મારા માટે મંગળસૂત્ર અને મારા સાસુ માટે માળાની ખરીદી કરી છે. સોનાના ભાવ વધવાને કારણે આર્થિક રીતે દરેક વર્ગને અસર પડી રહી છે, પરંતુ હાલ તહેવારના મહત્વને કારણે લોકો થોડી ઘણી પણ ખરીદી કરી રહ્યા છે. હાલ સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી, ઉલટાનું આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધે તેવું લાગી રહ્યું છે. અખા ત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પોતાની દીકરી માટે સોનાનાં દાગીનાની ખરીદી કરવા આવેલા અન્ય ગ્રાહક કવિતાબેન ટાંકે જણાવ્યું છે કે, અખા ત્રીજના મુહૂર્તનું અનેરું મહત્વ હોવાથી લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. ભલે અત્યારે સોનાના ભાવ આસમાને હોય, પરંતુ શુકન સાચવવા માટે પણ લોકો થોડી ઘણી ખરીદી કરવાનું પસંદ કરે છે. અખા ત્રીજની સાથે આજરોજ પરશુરામ જયંતી પણ હોવાથી આ દિવસ ખૂબ જ શુભ છે. મેરેજ ફંક્શન કે અન્ય કોઈ પ્રસંગો માટે ગિફ્ટ આપવા માટે પણ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. હું પણ મારી દીકરી માટે શુકનની ખરીદી કરવા આવી છું. ઘણા લોકો ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દાગીનાની ખરીદી કરીને તેને સાચવી રાખતા હોય છે, જેથી પ્રસંગ સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. રાધિકા જ્વેલર્સના મનોજભાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદશક્તિ પર પડી છે. આ ઉપરાંત, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ જેવા આંતરરાષ્ટ્રીય યુદ્ધના માહોલને કારણે લોકોમાં એક પ્રકારનો ગભરાટ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જે પણ બજારમાં મંદીનું એક મુખ્ય કારણ છે. જોકે, અક્ષય તૃતીયા અને પુષ્ય નક્ષત્ર જેવા દિવસો સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મનોજભાઈએ આશા વ્યક્ત કરી હતી કે, ભલે મોટી ખરીદી ન થાય, પણ લોકો શુકન સાચવવા માટે નાની-મોટી ખરીદી ચોક્કસ કરશે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિ જોતા ભાવ ઘટે તેવા કોઈ એંધાણ નથી. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ થાળે પડે અને શાંતિ સ્થપાય, તો જ કદાચ ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, બાકી હાલના તબક્કે ભાવ વધારો યથાવત રહે તેવી પૂરી શક્યતા છે. આજના પાવન પર્વે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ગત વર્ષની સરખામણીએ ઘરાકીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ વધુ વકર્યો છે. વડગામના ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીને ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે જગ્યા બદલવી પડી હતી. ગઈકાલે 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે સાંજે 6.30 વાગ્યે આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે 6.40એ જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં માત્ર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો. મેવાણીએ સુબોધ કુમુદને ટિકિટ અપાવી છેધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમના નજીક વ્યક્તિ સુબોધ કુમુદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડમાં ટિકિટ અપાવી છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળવાથી આ વોર્ડના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ વિસ્તારમાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર પણ લગાવ્યા હતા. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકમાં જીગ્નેશ મેવાણીને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારમાં આવતા મેવાણીનો કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યોજેથી જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આવ્યા હતા. વોર્ડના તમામ હોદ્દેદારો, વિવિધ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો થતા કાર્યકરોની અગત્યની મિટિંગ માટેનું સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીએ આયોજન કર્યું હતું. જો કે અગાઉથી નક્કી કરેલા સ્થાન પર મિટિંગ પણ કરવા દેવામાં આવી નહતી. માત્ર એટલું જ નહીં જે જગ્યાએ મિટિંગ કરવાની હતી ત્યાં તાળું મારી દેવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આકરા તાપ વચ્ચે આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 18 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ સિવાય અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.આજે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઆગમી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. 'હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય'હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમહવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં સુરતને બાદ કરતા અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 5 શહેરમાં ગરમીનો પારો 41Cને પાર પહોંચી ગયો છે. 18 એપ્રિલે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 41.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે આજથી 21 એપ્રિલ કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોના મહતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢમાં રાજનાંદગામમાં તાપમાન 45Cદેશના ઉત્તર-પશ્ચિમના રાજ્યો અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. શનિવારે છત્તીસગઢના રાજનાંદગામ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન 45C નોંધાયું હતુ. શનિવારે દેશના 10 સૌથી ગરમ શહેરમાં ઉત્તરપ્રદેશના બાંદામાં 44.6, તેલંગણાના આદિલાબાદમાં 44.3, મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતીમાં 44.2 અને મધ્યપ્રદેશના રતલામમાં 44Cનો સમાવેશ થાય છે.રાજસ્થાન, યૂપી, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢના અનેક શહેરમાં તાપમાન 43Cથી વધારે રહ્યું. એટલે કે મે પહેલા જ મહતમ તાપમાનમાં જબરજસ્ત વધારો થયો છે.હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડમાં રાત્રિના સમયે લૂનું એલર્ટ જાહેર કર્યું છે. સતત ત્રીજા દિવસે આ રાજ્યોમાં ગરમીનો પારો 40Cથી વધારો નોંધાયો હતો.
ઇડરમાં દીકરીના જન્મદિને TB દર્દીઓને પોષણ કીટ વિતરણ:રક્તપિતના દર્દીઓને ભોજન આપી અનોખી માનવસેવાની પહેલ
ઇડરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ના કાઉન્સેલર દીપકભાઈ અને ઇડર અર્બન સેન્ટરના સ્ત્રી આરોગ્ય કાર્યકર મીનાક્ષીબેન દંપતીએ પોતાની દીકરી સીઝાનો ચોથો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે ગઈકાલે સાંજે TB દર્દીઓને પોષણ કીટ અને રક્તપિતના દર્દીઓને ભોજન આપીને સમાજમાં પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સીઝાના જન્મદિવસ નિમિત્તે, અર્બન હેલ્થ સેન્ટર, ઇડર વિસ્તારમાં 25 TB દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રક્તપિતના દર્દીઓને પ્રેમપૂર્વક ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે દર્દીઓમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. દીપકભાઈ અને મીનાક્ષીબેનની આ પહેલ માત્ર સેવા પૂરતી સીમિત નથી, પરંતુ અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સંવેદનાનો સંદેશ પહોંચાડે છે. તેમણે પોતાની પુત્રીના જીવનના આ ખાસ દિવસે તેને દયા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીના મૂલ્યોનો સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. દીપકભાઈ અને તેમની દીકરી સીઝાની આ અનોખી પહેલને લઈને લોકોમાં પ્રશંસા જોવા મળી રહી છે. તેમની આ સેવાયાત્રા ભવિષ્યમાં પણ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવારે આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે. વોર્ડ નં. 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ 'ગોલ્ડન મેન' તરીકે પ્રખ્યાત થયા છે. તેઓ જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે 60 તોલા સોનું અને તેમની સાથે ચાલતા બાઉન્સરો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી ચર્ચાનો વિષય બન્યા છે. આમ આદમી પાર્ટીના આ 'ગોલ્ડન ઉમેદવાર'ની જીવનશૈલી અને તેમનો અંદાજ અન્ય તમામ ઉમેદવારો કરતા તદ્દન અલગ તરી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર 60 તોલા સોનું પહેરીને પ્રચાર કરે છેકલ્પેશ બારોટ જ્યારે વોર્ડ નં. 1ની ગલીઓમાં જનસંપર્ક માટે નીકળે છે, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં ભારેખમ સોનાના બ્રેસલેટ અને ગળામાં જાડી સોનાની ચેન પહેરીને તેઓ મતદારો પાસે જાય છે. તેમની આ અનોખી સ્ટાઈલ જોઈને લોકો સ્તબ્ધ થઈ જાય છે. પ્રચાર દરમિયાન તેઓ 60થી 65 તોલા સોનું પહેરે છે, જેની બજાર કિંમત લાખોમાં થાય છે. આટલું સોનું પહેરીને સામાન્ય રીતે કોઈ બહાર નીકળતા ડરતું હોય છે, પરંતુ કલ્પેશભાઈ આત્મવિશ્વાસ સાથે મતદારો વચ્ચે ફરે છે. કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યાસૌથી ચોંકાવનારી વાત એ છે કે કલ્પેશ બારોટ ગુજરાતના કદાચ એવા પ્રથમ ઉમેદવાર હશે જેઓ પોતાના પ્રચારમાં ખાનગી બાઉન્સરો સાથે રાખે છે. તેમની સાથે કાયમ બે બાઉન્સરો રહે છે. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ બાઉન્સરો તેમના પારિવારિક મિત્રો જેવા છે. જોકે, તેમણે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષના ઉમેદવારોની જે રીતે ખરીદ-વેચાણની રાજનીતિ ચાલી રહી છે, તેનાથી બચવા અને પોતાની સુરક્ષા માટે તેઓ આ વ્યવસ્થા રાખે છે. એફિડેવિટમાં 90 લાખના ગોલ્ડનો ખુલાસોચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં કલ્પેશ બારોટે પોતાની મિલકતોનો વિગતવાર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું છે. તેમની પાસે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો પણ એફિડેવિટમાં દર્શાવવામાં આવી છે. કલ્પેશભાઈનું કહેવું છે કે, તેમણે કંઈ પણ છુપાવ્યું નથી અને જે છે તે જનતાની સામે પારદર્શક રીતે રજૂ કર્યું છે. મોટી માત્રામાં સોનું પહેરીને પ્રચાર કરતાં જનતામાં કુતૂહલસોનાના શોખને કારણે જ આજે તેઓ સુરતની જનતામાં 'ગોલ્ડન ઉમેદવાર' તરીકે ઓળખાઈ રહ્યા છે. કલ્પેશ બારોટ માટે સોનું પહેરવું એ માત્ર ચૂંટણીનો દેખાડો નથી. તેઓ વર્ષોથી સોનું પહેરવાના શોખીન છે. તેમના મતે, આ તેમની એક વર્ષો જૂની ઓળખ છે. લોકો તેમને સોનામાં લદાયેલા જોઈને નવાઈ પામતા હોય છે, પરંતુ તેના વિસ્તારના લોકો માટે આ નવું નથી. જોકે, ચૂંટણીના મેદાનમાં જ્યારે આટલી મોટી માત્રામાં સોનું પહેરીને ઉમેદવાર ઉતરે ત્યારે વિરોધ પક્ષો અને સામાન્ય જનતામાં કુતૂહલ જાગવું સ્વાભાવિક છે. તેઓ માને છે કે તેમનું સોનું એ તેમની મહેનતની કમાણી છે. 'મતદારોના આશીર્વાદ અને મિત્રો મારી સાથે છે, ત્યાં સુધી કોઈ જોખમ નથી'જ્યારે કલ્પેશભાઈને પૂછવામાં આવ્યું કે આટલું સોનું પહેરીને નીકળવામાં જોખમ નથી લાગતું?. ત્યારે તેમણે સણસણતો જવાબ આપ્યો હતો. વધુમાં તેમણે એક મેસેજ આપતા કહ્યું કે, વર્તમાન સમયમાં જનતાએ સરકાર પર ભરોસો રાખવા કરતા પોતાની સુરક્ષા પોતે જ કરવી જોઈએ. તેમનો આ મેસેજ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ આંગળી ચીંધે છે. 'ગોલ્ડન ઉમેદવાર'ને જોતા જ લોકો સેલ્ફી લે છેવોર્ડ નં. 1ના રહીશો માટે કલ્પેશ બારોટનો પ્રચાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઘણા લોકો તેમને જોવા માટે ઘરની બહાર નીકળે છે તો ઘણા તેમની સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ આદમી પાર્ટી માટે આ એક 'ક્રાઉડ પુલર' વ્યૂહરચના સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. સામાન્ય રીતે સાદગીની રાજનીતિ કરતી પાર્ટીમાં આટલા ભપકાદાર ઉમેદવાર હોવા છતાં, કલ્પેશભાઈ દાવો કરે છે કે તેઓ જમીની સ્તરના કાર્યકર છે અને લોકોની સમસ્યાઓ સમજે છે.
જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન રમેશભાઈ દેકીવાડીયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. SOGની ટીમે દરોડો પાડીને અટકાયત કરી, આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તે અહીંથી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો છે તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તેની પાસેથી અલગ-અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા ATM કાર્ડ્સ, 23 સીમકાર્ડ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આરોપી મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છેપકડાયેલ આરોપી વિરુદ્ધ BNS Act ની કલમ 317(2), 317(4) અને IT Act ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધાયેલો હતો. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલની કિંમત અંદાજે 42,000 રૂપિયા આંકવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં પાસબુક અને ATM કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજોગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ, એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તેમજ પો.કોન્સ. કૃણાલસિંહ પરમાર અને મયુરભાઈ ઓડેદરા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમુલ પ્યોર ઘીના માર્કવાળા શંકાસ્પદ 22 ડબ્બા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ હાલતમાં 6 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે શહેરના ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીમાંથી તપાસ કરતા 16 ડબ્બા મળી આવ્યા હતા. SOG ટીમે કુલ 22 ડબ્બા મુદ્દામાલ તરીકે કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીનો જ એક વ્યક્તિ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને મહેતા માર્કેટના વેપારીઓને સપ્લાય કરતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં SOG પીઆઈ ભાવેશ શિંગરખીયા અને તેમની ટીમ તેમજ ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એ.જે. પ્રજાપતિની ટીમે કામગીરી કરી હતી. ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 11 વાગ્યે SOG અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી 3 નમૂના લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરમાં બ્રહ્મસમાજે પરશુરામ જયંતી ઉજવી:રામધૂન અને જયઘોષ સાથે ભગવાન પરશુરામની આરતી કરી
હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા પરશુરામ પાર્ક ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મસમાજના સભ્યોએ રામધૂન અને ભગવાન પરશુરામના જયઘોષ સાથે આરતી કરી હતી. આ ઉજવણી રવિવારે કરવામાં આવી હતી. ભગવાન પરશુરામજીની પૂજા અને આરતી ભૌતિક ભટ્ટ અને મનોજભાઈ પુરોહિતના યજમાનપદે સંપન્ન થઈ હતી. ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ સમાજે ભક્તિભાવપૂર્વક રામધૂન બોલાવી ભગવાન પરશુરામનો જયઘોષ કર્યો હતો. પૌરાણિક કથા અનુસાર, ભગવાન પરશુરામનો જન્મ ભૃગુવંશી ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પાંચમા પુત્ર તરીકે અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. આ દિવસને ભગવાન પરશુરામ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીમાં બ્રહ્મ સમાજના પ્રમુખ સર્વવાનંદ ભટ્ટ, મહામંત્રી દેવાંગ શુક્લ, અતુલભાઈ દીક્ષિત, પ્રફુલભાઈ વ્યાસ, હર્ષદભાઈ પાઠક, મુકેશભાઈ જાની, ડૉ. વિપુલ જાની અને અશોક રાવલ સહિત અનેક બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
નસવાડીના લિન્ડા ગામમાં ગત રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને સ્થાનિક લોકો વચ્ચે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ ન મળવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્ય તડવી ગ્રામજનો પાસેથી મત માંગવા અને મોદી સરકારની યોજનાઓ ગણાવવા ગયા હતા. તેમણે આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કરતા જ કેટલાક સ્થાનિકોએ તેમને કાર્ડ ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. આના પર ધારાસભ્ય ગુસ્સે થયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય અભેસિંહ તડવી ગુસ્સામાં એક સ્થાનિક વ્યક્તિને 'પછી વાત કરજો' અને 'બેસી જા' કહીને બેસાડી દેતા જોવા મળે છે. આ ઘટનાને દાદાગીરી તરીકે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નસવાડીના અંતરિયાળ વિસ્તારોમાં સરકારની આયુષ્યમાન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભ ન મળવાને કારણે સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. શહેર કોંગ્રેસે પ્રચાર માટે વઢવાણ વિસ્તારના વોર્ડ નંબર 12 અને 13માં બે નવા કાર્યાલય ખોલ્યા છે. આ કાર્યાલયોનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. વાઘેશ્વરી મંદિરના પૂજારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સતવારા સમાજના આગેવાન ભાવેશભાઈ, બ્રાહ્મણ સમાજના આગેવાનો, માલધારી સમાજના આગેવાનો સહિત તમામ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં પૂર્વ સભ્ય અરવિંદભાઈ આચાર્યના દીકરી રુદ્રાબેન, અશોકભાઈ જાની, કાંતિભાઈ ટમાલિયા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, વોર્ડ નંબર 13ના ઉમેદવાર, ઝરણાબેન જાની, યાસ્મિનબેન વડદરિયા, વિશ્વાસભાઈ સોમપુરા અને એડવોકેટ-નોટરી સુલેમાનભાઈ કુરેશી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને અન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આતશબાજી સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
માળીયા-હળવદ હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:6,672 બોટલ સાથે 40.16 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ
હળવદ-માળીયા હાઇવે પરથી પોલીસે દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. ભૂસાની થેલીઓની આડમાં છુપાવેલો 6,672 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 40.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માળીયા તાલુકા પોલીસની ટીમે હળવદ-માળીયા હાઇવે પર નવકાર કારખાનાની કટ પાસેથી RJ 36 GA 9858 નંબરના ટ્રકને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભૂસાની થેલીઓ પાછળ છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 21,07,200 રૂપિયાની કિંમતની 6,672 નાની-મોટી દારૂની બોટલો, મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટ્રક સહિત કુલ 40,16,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર દરિયાવસિંહ લખાસિંહ રાવત (ઉં.વ. 46, રહે. બીલીયા વાસ, તા. બાર શેખાવાસ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર, દારૂ મોકલાવનાર જયપુરના રાહુલ, ટ્રક માલિક અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધીને અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી અને ટંકારામાં પણ પોલીસે દારૂ અંગેની બે અલગ-અલગ રેડ કરી હતી, જેમાં કુલ 52 બોટલ દારૂ ઝડપાયો હતો. મોરબીના જેલ રોડ પર આવેલા વણકર વાસમાં પોલીસે દરોડો પાડી 875 રૂપિયાની કિંમતની દારૂની સાત નાની બોટલો સાથે પ્રવીણ પરમાર (ઉં.વ. 44, રહે. મોરબી)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂ કિરીટભાઈ (રહે. મોરબી) પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી બંને સામે ગુનો નોંધી કાર્યવાહી ચાલી રહી છે. બીજી એક કાર્યવાહીમાં, ટંકારાના ખાખરા ગામે નદીના કાંઠે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી. પોલીસે ત્યાંથી 6,750 રૂપિયાની કિંમતની દારૂની 45 નાની બોટલો જપ્ત કરી સુનિલભાઈ લાખાભાઈ પરેશા (ઉં.વ. 30, રહે. ખાખરા ગામ)ની ધરપકડ કરી હતી. તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોરબંદરમાં IPL સટ્ટાકાંડ:RCB-DC મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો, અન્ય એક ફરાર
પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમી મુજબ, કનકાઈ માતાના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલીમાં એક શખ્સ મોબાઈલ ફોન દ્વારા RCB અને દિલ્હી કેપિટલ (DC) વચ્ચેની લાઈવ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. આ બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડી અનિલ હિરાલાલ મઢવી (ઉં.વ. ૪૪, રહે. કનકાઈ માતાના મંદિર પાસે, જાદવ પાન વાળી ગલી, પોરબંદર) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો 'રીયલમી' કંપનીનો ૧૨ પ્રો+ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન આ સટ્ટાકાંડમાં જેઠાભાઈ મોઢવાડિયા નામના અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે, જે હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અનિલ મઢવી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. જાડેજા તથા તેમની ટીમ જેમાં એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, રવિભાઈ ચૌ, દિપકભાઈ ડાકી, તથા પો.હેડ.કોન્સ. મોહિત ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ, હરદાસભાઈ ગરચર, અર્જનભાઈ ઓડેદરા, ભીમાભાઈ ઓડેદરા, દિલીપભાઈ મોઢવાડિયા અને ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દહેગામ પોલીસે પૂર્વ બાતમીના અત્રેના ખેતરમાં દરોડો પાડીને કુલ 4 શખ્સોને નવ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.1.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડતો દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમ પાલુન્દ્રા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.ત્યારે બાતમી મળી હતી કે હાજીમીયા ઉસ્માનમીયા શેખ નામનો શખ્સ પાલુન્દ્રા ગામની સીમના સર્વે નંબર 279 વાળા પોતાના ખેતરમાં કેટલાક લોકોને બોલાવી સટ્ટો રમાડી રહ્યો છે. ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર જુગાર રમાડી રહ્યા હતાઆ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ચાર શખ્સો ઝાડના છાયડે બેસીને મોબાઈલ દ્વારા ગ્રાહકો સાથે ટેલીફોનીક સોદા કરતા જોવા મળ્યા હતાં. જેમની તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે, આ શખ્સો ક્રિકેટ ગુરુ એપ્લિકેશન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી ટી-20 મેચ પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા. આ 4 શખસની ધરપકડજેના પગલે પોલીસે સ્થળ પરથી પાલુન્દ્રા ગામના હાજીમીયા ઉસ્માનમીયા શેખ, ભરતભાઈ વિજુભાઈ બારોટ , મોહમદ ઈમરાનમીયા નિવાજખાન શેખ અને વસીમઅકરમ યાસીનમીયા બાવનની (રહે.હિંમતનગર) ની ધરપકડ કરી લીધી હતી. 1.19 લાખનો મુદ્દામાલ જપ્તઆ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 73 હજારની કિંમતના 9 મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 46,100ની રોકડ રકમ, સટ્ટાના આંકડા લખેલી 10 ચિઠ્ઠીઓ, બે ચોપડા, કેલ્ક્યુલેટર, પાવર બેંક અને અન્ય સાહિત્ય પણ મળી કુલ રૂ.1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉના અને ગીર ગઢડા પંથકમાં સિંહોની હાજરી હવે સામાન્ય વાત બની ગઈ છે. અહીં રાત પડતા જ સિંહપ્રેમીઓ અને સ્થાનિકો પોતાની રીતે સિંહનું લોકેશન શોધવા નીકળી પડતા હોય છે, જે ક્યારેક વન વિભાગના સર્વે કરતા પણ વધુ ઝડપી સાબિત થાય છે. ગત (18 એપ્રિલે) રાત્રિએ આ વિસ્તારમાં સિંહપરિવારની આવી જ એક અદભૂત અને રોમાંચક લટાર જોવા મળી હતી. ઝુડવડલી રોડ પર સિંહણ અને બાળનું મિલન ઝાખિયા-ઝુડવડલી રોડ પર ગત રાત્રિએ કુદરતનો અદભૂત નઝારો જોવા મળ્યો હતો. 66 કે.વી. સબસ્ટેશન પાસે આવેલા પાણીના અવેડામાં એક સિંહણ શાંતિથી જલપાન કરતી જોવા મળી હતી. પાણી પીધા બાદ સિંહણ આગળ વધી અને રસ્તાની વચ્ચે જઈને બેસી ગઈ હતી. સિંહણના આ પગલાને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. થોડીવારમાં ત્યાં સિંહબાળ પણ પહોંચ્યું હતું. જાણે માતાને લેવા માટે જ આવ્યું હોય તેમ, સિંહબાળે પોતાની માતા પાસે પહોંચીને વહાલ કર્યું હતું. આ ભાવનાત્મક મિલન બાદ બંનેએ ફરી એકવાર બે દિવસ જૂના ભેંસના મારણ તરફ પ્રયાણ કર્યું હતું અને ત્યાં મિજબાની માણી હતી. ઝાખિયા-ગીર ગઢડા રોડ પર સિંહ પરિવારની લટાર માત્ર ઝુડવડલી જ નહીં, પરંતુ ઝાખિયાથી ગીર ગઢડા રોડ પર પણ સિંહ પરિવારના દર્શન થયા હતા. રાત્રિના સમયે સિંહબાળ અને સિંહ પરિવારને રસ્તો પસાર કરતા જોઈ વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. જવાબદાર નાગરિક તરીકે વાહનચાલકોએ પોતાની ગાડીઓની ગતિ ધીમી કરી હતી અને આ અદભૂત દૃશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. સુરક્ષા અને તંત્રની જવાબદારી ઝુડવડલી થી ખિલાવડ સુધીના પંથકમાં સિંહોની સતત હિલચાલ જોવા મળી રહી છે. દૂર-દૂરથી લોકો અહીં સિંહ દર્શન કરવા આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નીચે મુજબની બાબતો ખૂબ જ મહત્વની બની જાય છે: આ વિસ્તારના લોકો સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વને જાળવી રાખવા માટે સજાગ છે, પરંતુ વન વિભાગનું સક્રિય પેટ્રોલિંગ આ સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે. ---- આ પણ વાંચો બે સિંહણ પોતાના બાલુડાના રખોપાં કરતી જોવા મળી સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ઉના પંથકમાં તો વનરાજ 'ઘરઆંગણે' દર્શન આપી રહ્યા છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલ ઝુડવડલી ગામની સીમમાં 17 એપ્રિલની રાત્રિએ સિંહ પરિવારની અદભૂત મિજબાની જોવા મળી હતી. જુઓ સંપૂર્ણ વીડિયો… મધરાતે સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર પર આવેલા સનવાવ ગામમાં 16 એપ્રિલે મોડી રાત્રે વનરાજોની હાજરીથી ગ્રામજનોમાં ફાળ પડી હતી. શિકારની શોધમાં જંગલમાંથી ભટકીને ગામમાં આવી ચઢેલી એક સિંહણે રહેણાક વિસ્તારમાં ગાયનું મારણ કરી કલાકો સુધી રોડ પર જ મિજબાની માણી હતી. અહીં ક્લિક કરી જુઓ વીડિયો… સિંહણે ગાયનો શિકાર કરવાની બહુ ટ્રાય કરી પણ મેળ ન પડ્યો ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં 1 અપ્રિલની વહેલી સવારે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણે એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવડિયાના ફાર્મ હાઉસ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ઉમેદવારો હવે દોડતું ડોર પ્રચારમાં નીકળી રહ્યા છે. ત્યારે પ્રજા પોતાનો રોષ તેમની સામે ઠાલવી રહી છે. અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ- હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર એવા મૌલિક પટેલ અને કાર્યકર્તાઓનો મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલાએ રોડ પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓને લઈને જ્યારે 10 વખત રજૂઆત કરી ત્યારે જોવા આવ્યો નહીં અને હવે મત માંગવા માટે આવ્યા છો એટલે જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ એમ કહી વાત કરી હતી. મહિલા ઉગ્ર વિરોધ કરી રહી હતી ત્યારે કાર્યકર્તા વચ્ચે બોલતા દારૂડિયાઓને લઈને આવો છો એવું પણ બોલી હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 'જેવા આવ્યા છે એવા અહીંયાથી નીકળી જાઓ'અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ તેમના કાર્યકર્તાઓની સાથે રાત્રે ડોર પ્રચારમાં નીકળ્યા હતા. વોર્ડમાં પ્રચાર દરમિયાન એક સોસાયટીમાં જતા મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલાએ કહ્યું હતું કે, પાંચ વર્ષમાં તમે અત્યારે દેખાયા છો પછી અમને ઓળખતા નથી. જ્યારે અમે તમને ફરિયાદ કરીએ છીએ ત્યારે તમે અમને કોઈ સપોર્ટ કરતા નથી. ખાડા ટેકરા માટે અનેક વખત રજૂઆત કરી છે. મૌલિક પટેલને 10 વખત કહ્યું છે. મૌલિક પટેલને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે જેવા આવ્યા છે એવા અહીંયાથી નીકળી જાઓ. 'બધા પીધેલાને લઈને તમે આવી જાવ છો'મહિલા જ્યારે બોલી રહી હતી ત્યારે ભાજપના કાર્યકર્તા સામે બોલતા મહિલાએ કહ્યું હતું કે, બધા પીધેલાને લઈને તમે આવી જાવ છો. જેથી કાર્યકર્તાઓએ કહ્યું હતું, અમે કોઈ પીધેલાઓને લઈને નથી આવતા. તમે પીધેલા હશો એવી રીતે પણ વાત કરી હતી. મૌલિક પટેલ સામે ઉગ્રતાથી મહિલાએ વિરોધ કર્યો હતો. 'મત ના આપવો હોય તો કંઈ નહીં'મહિલા ઉગ્રતાથી વિરોધ કરી રહી હતી અને અમારી સોસાયટીમાં નહીં આવવાનું એવું કહ્યું ત્યારે એક કાર્યકર્તા બોલ્યો હતો અને કહ્યું હતું કે સોસાયટી તમારા બાપની નથી. કાર્યકર્તા ઉગ્ર થઈને કહ્યું હતું કે મત ના આપવો હોય તો કંઈ નહીં. એમાં શું છે. મહિલાએ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓેને સંભળાવ્યુંમહિલા ઉગ્રતાથી વિરોધ કરી રહી હતી અને સંભળાવી રહી હતી ત્યારે ભાજપના કાર્યકર્તા બોલ્યા હતા કે, અમે ખબર અંતર પૂછવા માટે આવ્યા હતાં. ત્યારે મહિલાએ કહ્યું હતું કે, અહીંયા નહીં હોસ્પિટલમાં પૂછવા જવાનું હોય. શાંતિથી વાત કરવાનું કહેતા મહિલાએ કહ્યું હું શું કરવા શાંતિથી વાત કરું. મહિલાએ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓને કામ ન કર્યા હોવા બાબતે સંભળાવ્યું હતું જેને ભાજપના કાર્યકર્તાઓ સાંભળી શક્યા નહોતા અને મહિલાને પણ સામે બોલવા લાગ્યા હતા. 'અપક્ષના કોઈપણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં'ના બેનર લાગ્યાઅમદાવાદના લાંભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડનો પણ વિરોધ પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યો છે. લાંભાના અલગ અલગ વિસ્તારોમાં અપક્ષ ઉમેદવાર 'કાળુભાઈ ભરવાડ અહિયાં વોટ માંગવા આવવું નહીં'એવા બેનર લગાવવામાં આવ્યા છે. અપક્ષના કોઈપણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં એવા બેનર લગાવીને વિરોધ કર્યો છે. જ્યારે સોસાયટીમાં 'કાળુભાઈ ભરવાડ ભાજપના દલાલ બનીને પ્રજાના હિતના ચેડા કરવા મત માંગવા આવવું નહીં' એવા બેનર લગાવવામાં આવ્યા છે. લાંભા વોર્ડમાં અપક્ષના ઉમેદવાર કાળુભાઈ ભરવાડ નો ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં જૂના રામપુરા વિસ્તારમાં એક શ્રમિકની હત્યાના ચોંકાવનારા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પત્ની સાથેના કથિત આડા સંબંધની શંકાએ એક મિત્રએ જ પોતાના સાથી શ્રમિકની ગળે ટૂંપો દઈને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ ઊંઝાના જૂના રામપુરામાં રહેતા મુકેશ ચોપારામ ભીલ (ઉં.વ. 34) એક તમાકુની વખારમાં મજૂરી કામ કરતા હતા. ગત 17 એપ્રિલના રોજ જ્યારે પરિવારના અન્ય સભ્યો ઉનાવા ગંજ બજારમાં કામ અર્થે ગયા હતા, ત્યારે મુકેશ ભીલ ઘરે એકલા હતા. સાંજે આશરે 5 વાગ્યાના સુમારે પરિવારને જાણવા મળ્યું હતું કે, મુકેશ તમાકુની વખારમાં મૃત હાલતમાં પડ્યા છે. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતાં મુકેશનો મૃતદેહ ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હત્યાનું કારણ: વહેમનું ઝેર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી દોલારામ ખુમારામ ભીલ (ઉં.વ. 31) અને મૃતક મુકેશ ભીલ બંને પરિચિત હતા. આરોપી દોલારામને લાંબા સમયથી શંકા હતી કેં મુકેશને તેની પત્ની સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતે અવારનવાર બંને વચ્ચે તકરાર થતી હતી. આ વહેમના કારણે ઉશ્કેરાયેલા દોલારામે ક્લચ વાયર (ધાતુનો પાતળો વાયર) વડે મુકેશને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, મૃતકના પરિવારે આ પ્રકારના કોઈપણ સંબંધો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર રેન્જ IG વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઊંઝા PI જે.પી. સોલંકી અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી દોલારામ ભીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલો ક્લચ વાયર પણ કબજે કર્યો છે. આ મામલે મૃતકના ભાઈ દિનેશ ઉર્ફે જીતુ ભીલની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે આરોપી દોલારામ ભીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના મેંદરડા તાલુકાના ગીર જંગલની મધ્યમાં આવેલું શિરવાણ ગામ અત્યારે વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. દાયકાઓથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સીદી સમાજના આ લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ગામમાં જ રહેલું પોલિંગ બૂથ આ વખતે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર 6 કિલોમીટર દૂર અમૃતવેલ ગામે ખસેડી દેવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે 300 જેટલા મતદારોના લોકશાહીના અધિકાર પર જોખમ ઊભું થયું છે. ગામમાં એક મતદાન મથકની ગ્રામજનોની માગશિરવાણ ગામના લોકો માટે આ સ્થિતિ આઘાતજનક છે, કારણ કે થોડા સમય પહેલા જ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ સાસણની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે આ જ સીદી સમાજના લોકોને ખાસ નિમંત્રણ આપી બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમના પરંપરાગત ધમાલ નૃત્યની પ્રશંસા કરી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ અત્યંત આત્મીયતાથી સાંભળી હતી. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો દેશના સર્વોચ્ચ વ્યક્તિ તેમને મળી શકતા હોય અને તેમની સમસ્યાઓ સાંભળી શકતા હોય, તો સ્થાનિક વહીવટી તંત્ર કેમ તેમના ગામમાં એક મતદાન મથક જેવી પાયાની સુવિધા જાળવી શકતું નથી. 6 કિલોમીટર દૂર જવું મહિલાઓ માટે પરેશાનીલોકશાહીના આ પર્વમાં તંત્રના બેવડા ધોરણો પણ ચર્ચાનો વિષય બન્યા છે. ગીરના જંગલમાં માત્ર એક મત ધરાવતા બાણેજ અને માત્ર આઠ મત ધરાવતા અન્ય વિસ્તારો માટે તંત્ર ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરી ગર્વ લે છે, ત્યારે શિરવાણ જેવા 700થી વધુની વસ્તી અને 300 મતદારો ધરાવતા ગામની અવગણના કરવામાં આવી છે. જંગલનો પથરાળ રસ્તો, હિંસક પશુઓનો સતત ભય અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગો માટે 6 કિલોમીટર દૂર અમૃતવેલ જવું વ્યવહારિક રીતે અશક્ય છે. ગામમાં બૂથ નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકીગામના યુવાનો અને આગેવાનો જણાવે છે કે ગામમાં પોતાની પ્રાથમિક શાળા હોવા છતાં અને ત્યાં મતદાન મથક માટે પૂરતી સુવિધા હોવા છતાં તંત્રએ જાણીજોઈને આ ફેરફાર કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે તેમને તાલાલા તાલુકાના રસૂલપુરા ગામે જવું પડતું હતું, જે પણ તેમના માટે અન્યાયકર્તા હતું. હવે સ્થાનિક ચૂંટણીમાં પણ આ પ્રકારની હેરાનગતિ થતાં સમગ્ર સીદી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો ગામમાં બૂથ નહીં અપાય તો એક પણ વ્યક્તિ મતદાન કરવા નહીં જાય. 'રાજ્ય ચૂંટણી પંચને નવા મતદાન મથક માટે દરખાસ્ત મોકલી છે'આ મામલે વિવાદ વધતા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે શિરવાણ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં હોવાથી અને સ્થાનિક ચૂંટણીમાં બીજા જિલ્લાના ગામનો ઉપયોગ કરી શકાતો ન હોવાથી અમૃતવેલ નેસ ખાતે બૂથ ફાળવવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગામમાં સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ છે, તેથી રાજ્ય ચૂંટણી પંચને શિરવાણ ગામમાં જ નવું મતદાન મથક ઊભું કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. તંત્રએ ખાતરી આપી છે કે આગામી ચૂંટણીમાં ગ્રામજનો પોતાના જ ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકશે.
ભરૂચ વોર્ડ 8માં ભાજપ ઉમેદવારનો વિરોધ:પ્રચાર દરમિયાન સ્થાનિકોએ વિકાસ કાર્યો ન થયાનો આક્ષેપ કર્યો
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, ગત રોજ સાંજે વોર્ડ નંબર 8 વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવારનો સ્થાનિક રહેવાસીઓએ ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો થયા નથી અને ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનો વિરોધ વધતા, ઉમેદવારોએ પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે શાંતિપૂર્ણ રીતે ત્યાંથી આગળ વધવાનું પસંદ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. ચૂંટણી પૂર્વે બનેલી આ ઘટના રાજકીય સમીકરણો પર કેવી અસર કરશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
મહેસાણાના જોટાણા તાલુકાના જાકાસણા ગામની સીમમાં પૈસાની માગણી કરી શરાબી પુત્રએ પોતાના પિતાને લાકડાના દંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં પિતા દ્વારા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈને પિતાને મારમાર્યોમૂળ મુદરડા લક્ષ્મીપુરાના વતની અને હાલ જાકાસણા સીમમાં પઠાણ સાહેબખાનના બોર પર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા 55 વર્ષીય રામતુજી ગંભીરજી ઠાકોર ગત તારીખ 16 એપ્રિલની રાત્રે જમી પરવારીને ખાટલામાં સૂતા હતા. તે સમયે તેમનો પુત્ર વિજય નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને પિતા પાસે પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. પિતાએ તેને કામ ધંધો કરવાની સલાહ આપી પૈસા આપવાની ના પાડતા વિજય ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. લાકડું ઉપાડી પિતાના માથાના ભાગે ફટકાર્યુંમામલો એટલી હદે વણસ્યો કે, પુત્રએ નજીકમાં પડેલું લાકડું ઉપાડી પિતાના માથાના ભાગે ફટકાર્યું હતું. આ હુમલામાં પિતા નીચે પડી જતાં તેમને ડાબા હાથે,પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયારામતુજીએ બચાવ માટે બૂમો પાડતા તેમનો બીજો પુત્ર બકાજી અને પુત્રવધૂ મધુબેન દોડી આવ્યા હતા અને હુમલાખોર પુત્રથી પિતાને છોડાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક જોટાણા સિવિલ અને બાદમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવીહાલમાં ઈજાગ્રસ્ત પિતાને વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોએ તેમના ડાબા હાથ અને જમણા પગમાં ફેક્ચર હોવાનું તેમજ માથાના પાછળના ભાગે અને પગમાં ટાંકા આવ્યા હોવાનું જણાવ્યું છે. આ ઘટના અંગે ભોગ બનનાર પિતાએ સાંથલ પોલીસ મથકે પોતાના જ પુત્ર વિજય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોડાસા નગરપાલિકા ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 3 અને 4 ના કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીત અપનાવી હતી. તેઓ ઘોડા પર સવાર થઈ ઢોલ-નગારાના તાલે વરઘોડા સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 4 માંથી દીપેન પટેલ, ભારતીબેન મોચી, વિક્રમભાઈ આદિવાસી અને હિરલબેન ખાંટ જ્યારે વોર્ડ નંબર 3 માંથી જયાબેન પટેલ, ડિસ્પલબેન ખાંટ, રાજેન્દ્રસિંહ રાજપૂત અને રાધાબેન રાવળ ઘોડા પર સવાર થઈ પ્રચારમાં જોડાયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આ પ્રચાર પદ્ધતિ શહેરમાં પ્રથમ વખત જોવા મળી હતી, જેના કારણે મતદારોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં મતદારો અને સ્થાનિકો આ અનોખો પ્રચાર જોવા ઉમટી પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા અપનાવવામાં આવેલી આ અનોખી પ્રચાર પદ્ધતિએ મતદારોનું ધ્યાન ખેંચ્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી (MSc IT) અને સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી સુવિધાઓની ચકાસણી કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. રજિસ્ટ્રાર અને બાંધકામ વિભાગના અધિકારીઓએ વડાલી કેમ્પસ ખાતે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા વડાલી કેમ્પસમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી એમએસસી સીએ એન્ડ આઈટી (MSc CA IT) નો પાંચ વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના છે. આ અદ્યતન બિલ્ડિંગમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર લેબ, અધ્યાપકો, લેબોરેટરી અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ચકાસવા માટે પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં એમએસસી આઈટી વિભાગના ભાવેશભાઈ પટેલ અને બિરેનભાઈ પટેલ, કેમેસ્ટ્રી વિભાગના વડા કોકિલાબેન પરમાર, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા કે.કે. પટેલ અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પારુલબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ ટીમ એમએસસી આઈટી કોર્સ શરૂ કરવા માટેની સુવિધાઓની ચકાસણી કરી તેનો અહેવાલ કુલપતિને સુપરત કરશે. આ ઉપરાંત, વડાલી કેમ્પસ ખાતે ખેડૂતોની જમીનના નમૂનાની ચકાસણી માટે સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું પણ આયોજન છે. સમિતિના સભ્યો દ્વારા આ બાબતની પણ જરૂરી સુવિધાઓ ચકાસવામાં આવી રહી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ, આર્કિટેક્ચર વિભાગના વડા મીરાબેન ચેતવાણી અને એસ્ટેટ એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાએ વડાલી કેમ્પસની મુલાકાત લઈ જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ માહિતી કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ આપી હતી.
ઉનાળાના વેકેશનની શરૂઆત સાથે જ સુરતમાં વસતા પરપ્રાંતીયોની વતન વાપસી શરૂ થઈ છે, પરંતુ આ મુસાફરી તેમના માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે. હજારોની સંખ્યામાં મુસાફરો અંત્યોદય ટ્રેનમાં જગ્યા મેળવવા ઉમટી પડ્યા છે, જેના કારણે સ્ટેશનની બહાર લગભગ 2 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. ભીષણ ગરમી અને શેડનો અભાવ: મુસાફરો રામભરોસેસુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે કલાકો સુધી લાઈનમાં ઉભેલા મુસાફરો માટે શેડની પૂરતી વ્યવસ્થા નથી. મુસાફરો ધોમધખતા તડકામાં ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર બન્યા છે. જ્યાં થોડા-ઘણા શેડ છે ત્યાં પણ 50% પંખાઓ બંધ હાલતમાં છે. ગરમી અને ગૂંગળામણને કારણે મુસાફરોની હાલત દયનીય બની છે. આરોગ્ય સુવિધા શૂન્ય: લાઈનમાં ઉભેલા યુવકને ખેંચ આવીહજારોની ભીડ વચ્ચે મેડિકલ ઈમરજન્સી સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ભીડ અને ગરમીને કારણે એક મુસાફરને અચાનક ખેંચ આવી જતાં તેની હાલત ગંભીર બની ગઈ હતી. આવી કટોકટીમાં પણ સ્ટેશન પરિસરમાં કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી. મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અંધારામાં પ્રતિક્ષા અને સુરક્ષાનો ભયઅનેક મુસાફરો છેલ્લા 16-16 કલાકથી ભૂખ્યા-તરસ્યા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. રાત્રિના સમયે જ્યાં લાંબી કતારો છે ત્યાં સ્ટ્રીટ લાઈટની કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોએ અંધારામાં રાત પસાર કરવી પડી હતી. અંધારાને કારણે ચોરી અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, જેમાં નાના બાળકો અને મહિલાઓની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. તંત્ર લાચાર: પોલીસને પરસેવો છૂટ્યોટ્રેનની ક્ષમતા કરતા 500 ગણા વધુ મુસાફરો ઉમટી પડતા રેલવે અને સ્થાનિક પોલીસના પરસેવા છૂટી ગયા છે. પરિસ્થિતિ વણસતા પોલીસે મુસાફરોને અત્યારે સ્ટેશન ન આવવા વિનંતી કરવી પડી હતી. દરમિયાન, પોલીસ અને મુસાફરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આટલી મોટી ભીડને સૂચના આપવા માટે પૂરતા લાઉડ સ્પીકર જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. માનવતાનું દૃશ્ય: અસ્થિ લઈને નીકળેલા પરિવારની વ્હારે આવી પોલીસઆ અરાજકતા વચ્ચે એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો. અભાજીત બિંદ નામનો યુવક તેની સ્વર્ગસ્થ પત્ની નીલમ દેવીની અસ્થિઓ લઈને પ્રયાગરાજ જવા માટે વલખા મારી રહ્યો હતો. ભીડને કારણે તેને ટ્રેનમાં ચઢવામાં મુશ્કેલી પડી રહી હતી. આ વેદના રેલવે પોલીસના ધ્યાને આવતા તેમણે માનવતા દાખવી પરિવારને તાત્કાલિક તાપી ગંગા ટ્રેનમાં રવાના કર્યા હતા.
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે. વોર્ડ નંબર 1ના ભાજપના ચારેય ઉમેદવારોના પ્રચાર અર્થે સાલવીવાડા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો અને કોંગ્રેસની વિચારધારા સામે આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 1ના ભાજપના ચાર ઉમેદવારો વિવેક રમેશભાઈ પટેલ,નીતાબેનપટેલ, અશોક વદનજી ઠાકોર અને ચંદ્રિકાબેન રાવળના સમર્થનમાં આ કાર્યાલય કાર્યરત કરાયું છે. કાર્યાલયનું ઉદ્ઘાટન ગોપાલભાઈપાઠક, કાલિકા માતાજી મંદિરના પુજારી અશોકભાઈ વ્યાસ, પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે કાલિકા મંદિરના પુજારીએ ચારેય ઉમેદવારોને વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા.આ તબક્કે ઉમેદવાર વિવેક પટેલે જાહેરાત કરી હતી કે આ કાર્યાલય માત્ર ચૂંટણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી પાંચ વર્ષ સુધી વોર્ડના મતદારોના સુખ-દુઃખમાં સહભાગી થવા માટે ખુલ્લું રાખવામાં આવશે. પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે સભાને સંબોધતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અગાઉની સભામાં કરેલી વાતના આધારે કોંગ્રેસીઓએ તેમના પર દેશદ્રોહની ફરિયાદ કરી હતી,જે કેસ હજુ પણ ચાલુ છે.તેમણે સનાતની મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા સનાતન ધર્મને કચડવાનો પ્રયાસ કર્યો છે અને આતંકવાદીઓને સાથ આપ્યો છે. મનોજ પટેલે દાવો કર્યો હતો કે જ્યારે રામ ભક્તો પર ગોળીઓ ચાલતી હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ મહેફિલો માણતા હતા. તેમણે 26તારીખે ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા હાકલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે નગરપાલિકામાં ભાજપની સરકાર બનાવવી એ જ લક્ષ્ય છે. ચૂંટણી પ્રભારી સત્યન કુલાબકરે કોંગ્રેસની પડતી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 720 જેટલી બેઠકો પર ફોર્મ પરત ખેંચાતા ભાજપ બિનહરીફ વિજેતા બની છે. તેમણે કોંગ્રેસને ડૂબતા ટાઈટેનિક જહાજ સાથે સરખાવી હતી.કુલાબકરે ઉમેર્યું હતું કે કોંગ્રેસે હંમેશા વિકાસ અને નારી શક્તિ બિલનો વિરોધ કર્યો છે.રામલલ્લાને કાલ્પનિક ગણાવી કોંગ્રેસે એફિડેવિટ કર્યું હોવાનો ઉલ્લેખ કરી તેમણે આ જંગને 'રામ અને રોમ' વચ્ચેની લડાઈ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે જનતા રામની સાથે છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે મતદારોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કે અપક્ષને મત આપવો એટલે મત બગાડવા સમાન છે.કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી નગરપાલિકામાં પણ ભાજપના શાસનથી વિકાસની ગતિ તેજ બનશે. તેમણે કાર્યકરોને ઓવર કોન્ફિડન્સમાં ન રહેવા અને છેલ્લા 4 થી 5 દિવસ વ્યક્તિગત સંપર્ક કરી પ્રત્યેક મતદાતા સુધી પહોંચવા વિનંતી કરી હતી.
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ અંતર્ગત વોર્ડ નંબર 2ના કોંગ્રેસના પેનલના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ કાર્યકરો અને મતદારોને શાંતિપૂર્ણ મતદાન કરવા અને વિરોધ પક્ષ દ્વારા થતી ઉશ્કેરણીથી દૂર રહેવા અપીલ કરી હતી. વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ચાર ઉમેદવારો પટેલ પિન્કલકુમાર જયંતિલાલ, પટેલ નેહાબેન વિજયકુમાર, પ્રજાપતિ આરતીબેન જયદીપ અને ભીલ આકાશકુમાર દશરથલાલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રીબીન કાપીને કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હારના ડરથી વિરોધીઓ સમાજમાં અંદરોઅંદર ઝઘડા કરાવવાના પ્રયાસ કરી શકે છે. તેમણે તમામ યુવાનો અને વિવિધ સમાજના લોકોને સંગઠિત રહેવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણીઓ તો આવશે અને જશે, પરંતુ ઠાકોર સમાજ, મોઢ સમાજ અને પાટીદાર સમાજનું સંગઠન જાળવી રાખવું વધુ મહત્વની બાબત છે. કોઈપણ પ્રકારના ઉશ્કેરાટમાં આવ્યા વગર વાદ-વિવાદથી દૂર રહેવા તેમણે સૂચન કર્યું હતું. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ કાર્યકર્તા કે ઉમેદવારને ખોટી ધમકી આપવામાં આવે અથવા દાદાગીરી કરવામાં આવે તો 26મી તારીખ પછી તેને કેવી રીતે પહોંચી વળવું તેની રણનીતિ તેમને ખબર છે. જોકે, હાલના તબક્કે સામાજિક વિગ્રહ ટાળવો જરૂરી છે. તેમણે મતદારોને કોઈ પણ ડર રાખ્યા વગર શાંતિથી 26મી એ પેનલ ટુ પેનલ મતદાન કરવા માટે વિનંતી કરી હતી.
ગુજરાત રાજ્યમાં ઇલેક્શન ફીવર વચ્ચે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટેની આજે 19મી એપ્રિલના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ એમ 4 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 21,500 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન તેમનું બાયોમેટ્રિક અને ફ્રસ્કિંગ થકી કડક ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે સાકાર થશે. રાજકોટ શહેરના 74 પરીક્ષા કેન્દ્ર પર 719 વર્ગખંડમાં પીએસઆઇ બનવા માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના શેસનમાં 9:30 થી 12:30 સુધી પ્રિલિમ્સનું પેપર છે અને બપોરના સેશનમાં 3 થી 6 વાગ્યા સુધી મેઇન્સ એક્ઝામ લેવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ઉમેદવારોની પરીક્ષા રાજકોટમાં આયોજિત કરવામાં આવી છે જેથી આજે સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યાં યુવક અને યુવતીઓ PSI બનવા માટેની પરીક્ષા આપવા ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે પીએસઆઇની પરીક્ષા આપવા પહોંચેલા વિનાયત મજગુલે જણાવ્યું હતું કે, હું જુનાગઢથી પીએસઆઇની પરીક્ષા આપવા માટે અહીં રાજકોટ આવ્યો છું. બે વર્ષથી આ માટેની તૈયારી ચાલુ છે. હું તાજેતરમાં જ LRD (લોકરક્ષક દળ)માં સિલેક્ટ થઈ ગયો છું જેની ગાંધીનગરના કરાઈ ખાતે ટ્રેનિંગ ચાલુ છે. મારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતા નથી પરંતુ મને નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હતુ. આજે સવારના શેસનમાં પ્રિલિમ્સ અને બપોરના સેશનમાં મેન્સની એક્ઝામ છે. જ્યારે અન્ય ઉમેદવાર પ્રદીપ રાઠોડે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામથી આવું છું. પીએસઆઇની પરીક્ષા માટેની તૈયારી સારી કરી છે. હાલ હું બિનહાથિયારી લોકરક્ષક દળમાં સિલેક્ટ થઈ ગયો છું. પીએસઆઇ માં આવવાનું કારણ એકમાત્ર સ્વપ્ન છે. મારા પરિવારમાંથી કોઈ આ ક્ષેત્રમાં નથી.
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શ્રી શ્રી રાધા માધવના 11મા પાટોત્સવની ઉજવણી શરૂ થઈ છે. મંદિરની સ્થાપનાને 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના પ્રથમ દિવસથી જ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉત્સવમાં ભક્તિ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. ભગવાન શ્રી રાધા માધવને આ અવસરે ખાસ રીતે બનાવેલા નવા વસ્ત્રોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ભગવાનના શણગાર માટે દક્ષિણ ભારતથી વિશેષ પુષ્પો મંગાવવામાં આવ્યા હતા, જેણે મંદિરની શોભામાં વધારો કર્યો હતો. પાટોત્સવના બીજા દિવસે સર્વશક્તિમાન ભગવાન શ્રી રાધા માધવની ગજ (હાથી) વાહન ઉત્સવ યાત્રા સાથે ઉજવણી આગળ વધી હતી. આ કાર્યક્રમ માટે દર વર્ષે ઉપયોગમાં લેવાતો ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. આશરે 20,000થી વધુ ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને રથને ખેંચવાની તક ઝડપી હતી. રથયાત્રા દરમિયાન ભક્તોમાં વિવિધ પ્રકારના ખાસ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ મંદિર, ભાડજના ભક્તો દ્વારા રથયાત્રાની સાથે હરિનામ સંકિર્તન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ હરિનામ કીર્તન અને ભજન સંધ્યા સાથે ઉજવાયો હતો, જેણે બધા ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉત્સવના અંતમાં એક ભવ્ય મહા આરતી અને હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોને સુંદર રીતે શણગારેલા સિંહાસન પર ભગવાનને ઝુલાવવાની અનોખી તક મળી હતી.
સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર
Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં ઉમેદવારો હવે પરંપરાગત સભાઓ અને રેલીઓ સાથોસાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટયુબ જેવા માધ્યમો ચૂંટણી પ્રચાર માટે મુખ્ય હથિયાર બની રહ્યાં હોવાથી કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને કમાણીની સીઝન ખૂલી છે. ફિલ્મી સ્ટાઈલવાળા વીડિયોથી મતદારોને આકર્ષવાની મથામણ સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર વધુ ઝડપથી અને ઓછી કિંમતમાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. તેમાં ઘણાં લોકો કોમેન્ટ્સ અને મેસેજ દ્વારા સીધો પ્રતિસાદ પણ આપે છે, જેનાથી ઉમેદવાર લોકમિજાજ જાણી શકે છે.
બહાર જમવાના શોખીનો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા પિત્ઝામાંથી જ વાળ નીકળતા હંગામો મચી ગયો હતો. આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં લેખિત ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર ઘટના?શાહીબાગમાં રહેતા ડો. ધ્રુવ પટેલ તેમના મિત્ર સાથે વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં જમવા ગયા હતા. તેમણે પહેલા સલાડ ખાધું અને ત્યારબાદ પિત્ઝા ઓર્ડર કર્યા હતા. જેવો પહેલો માર્ગેરીટા પિત્ઝા ટેબલ પર આવ્યો, તે ખાવા જતાં જ તેમાં મોટો વાળ જોવા મળ્યો હતો. સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિત્ઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી હતી. મેનેજરે સંતોષકારક જવાબ ન આપ્યાનો આક્ષેપડો. ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે મેં કર્મચારીઓને પિત્ઝામાં વાળ હોવાની ફરિયાદ કરી, ત્યારે તેમણે માત્ર પિત્ઝા બદલી આપવાની વાત કહીને સંતોષ માની લીધો હતો. મેનેજર સાથે વાત કરવાની માંગ કરી ત્યારે કર્મચારીઓ એકબીજા પર ખો આપતા રહ્યા અને મેનેજરે પણ કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપ્યો. બીજી વાર આવું નહીં થાય: ફ્રેન્ચાઈઝી ઓનરઆ મામલે વિલિયમ જ્હોન્સ પિત્ઝા (શાહીબાગ)ના ફ્રેન્ચાઈઝી માલિક અભયભાઈએ જણાવ્યું હતું કે, બનાવતી વખતે ભૂલથી વાળ આવી ગયો હોઈ શકે છે. અમે આ બાબતે તકેદારી રાખીશું અને બીજી વખત વાળ નહીં આવે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની 858 જગ્યા માટે બહાર પાડેલી ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી રહી છે. શારીરિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્ર પર 45 હજારથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ છે. બે સેશનમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા સેશનમાં 9.30થી 12.30 સુધી પરીક્ષા લેવામાં આવી રહી છે. જે બાદ બીજા સેશનમાં 3થી 6 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં CCTVથી રૂમદરેક પરીક્ષા સેન્ટર પર ભરતી બોર્ડના પ્રતિનિધિને હાજર રાખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર PI/ PSI કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્ર પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે CCTVની સાથે સાથે PI અને PSI સહિત દરેક કેન્દ્ર પર 6 પોલીસ કોન્સ્ટેબલ તેમજ ટ્રાફિક પોલીસ પણ રાખવામાં આવી છે. તેમજ કરાઈમાં આવેલા પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતે તમામ પરીક્ષા સેન્ટર પરના CCVTનું મોનિટરિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 45,910 ઉમેદવારોએ માટે પરીક્ષારાજ્યભરમાં શારીરિક પરીક્ષામાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો કુલ 371 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 100 કરતા પણ વધુ કેન્દ્રો પર PSI ભરતી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 45,910 ઉમેદવારોએ માટે પરીક્ષા યોજાઈ છે. પરીક્ષા સેન્ટર ઉમેદવારોના એરિજિનલ ડોક્યુમેન્ટ અને કોલ લેટર ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા સરળ રહેશે તેવી આશા સાથે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છેતેમજ શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવ્યા છે, તેમજ Facial recognition technologyનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે બાદ ઉમેદવારોને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ઉમેદવારોના સાથે સાથે તેમના પરિવારજનો પણ પરીક્ષા સેન્ટર પહોંચી ગયા હતા. 858 જેટલી જગ્યા માટે પરીક્ષા લેવાતી હોવાથી ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમજ પરીક્ષા સરળ રહેશે તેવી આશા સાથે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. 'આ વખતે મેઈન્સની તૈયારીમાં સૌથી વધુ ફોકસ કર્યું છે'મોડાસાથી આવેલા રોહિત ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી સરકારી પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યો છું. ગઈ વખતે પણ PSIની પરીક્ષા આપી હતી. પરંતુ કેટલીક ભૂલોના કારણે તેમના પાસ થઈ શક્યો નહતો. જો કે આ વખતે તેમાં જે ભૂલ થઈ છે તે સુધારવા માટેનો પ્રયાસ કર્યો છે. જૂની બધી ભૂલી સુધારી પરીક્ષા માટેની તૈયારીઓ કરી છે. આ વખતે મેઈન્સની તૈયારીમાં સૌથી વધુ ફોકસ કર્યું છે. પરીક્ષાની તૈયારીઓ સારી કરી છે જેથી પેપર ગમે તેવું પુછાય વાંધો આવશે નહી. 'આશા છે પેપર સારું રહેશે'ઉમેદવાર વૈશાલીબેને જણાવ્યું હતું કે, ગયા વખત કરતા આ વખતે પરીક્ષાની તૈયારીઓ ઘણી સારી કરી છે. એક વર્ષથી પરીક્ષા માટેની તૈયારી કરી રહી છું. તૈયારી સારી કરી છે જેથી આશા છે પેપર સારું રહેશે. 'જો વહેલું પરિણામ જાહેર થાય તો ઉમેદવારોને ફાયદો થઈ શકે'ઉમેદવાર રાજે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છું. જેથી આ વખતે પરીક્ષા માટે ખૂબ સારી મહેનત કરી છે. કારણ કે ઉંમર પણ 30 વર્ષ થઈ ગઈ છે. જેથી છેલ્લો પ્રયાસ છે કે સરકારી નોકરી જાય. નસીબ કેવું કામ કરે છે તે જોવાનું રહેશે. વિષય વાઇસ પરીક્ષાની પૂરેપૂરી તૈયારીઓ કરી દીધી છે. ગયા વખતે જે લેવલથી પરીક્ષા લેવામાં આવી હતી તે જ લેવલ સાથે તૈયારીઓ કરી છે. પેપર સળંગ પુછાશે તો પરીક્ષા સારી રીતે પાસ થઈ શકશે. જો વહેલું પરિણામ જાહેર થાય તો ઉમેદવારોને તેનો ઘણો ફાયદો થઈ શકે છે. વહેલું પરિણામ મળી જાય તો ઉમેદવારોને નોકરી મળી શકે અને તે સેવામાં લાગી શકે. 'દરરોજ 6 કલાક જેટલી પરીક્ષા માટે તૈયારી કરી છે અને વાંચન કર્યું છે'ઉમેદવાર સંદીપ જોશીએ જણાવ્યું હતું કે, PSI ભરતી પરીક્ષા માટે છેલ્લા છ મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ. દરરોજ 6 કલાક જેટલી પરીક્ષા માટે તૈયારી કરી છે અને વાંચન કર્યું છે. કારણ કે રાત્રે નોકરીએ પણ જવાનું હોવાથી છ કલાક સુધીનું વાંચન થઈ શક્યું છે. નોકરી સાથે પરીક્ષાની તૈયારી કરવી અઘરું થઈ જતું હોય છે કારણ કે ટાઈમ મેનેજ કરવો અઘરો થઈ જતો હોય છે. બંધારણ અને રિઝનિંગ પર સૌથી વધુ ફોકસ કર્યું છે. સરળ પેપર પુછાય તેવી આશા રાખી રહ્યા છીએ.
રાજ્યની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તા મેળવવા માટે એપ્રિલની કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 12: ભૌગોલિક અને જ્ઞાતિ સમીકરણ આ વોર્ડમાં ભોગાવો વિસ્તાર, ધોળીપોળ, એસ.ટી. બસ સ્ટેશન, મસ્જિદ ચોક, ગેડીયા હનુમાન, દાજીપરા, લાખુપોળ અને ગુરુકુળ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસ તેના 37 ટકા કમિટમેન્ટેડ મત જાળવી રાખવા મથામણ કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીના આગમનથી મતોના ધ્રુવીકરણનો ડર ભાજપને સતાવી રહ્યો છે. ખાસ કરીને વઢવાણના અસ્તિત્વના મુદ્દે ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાયું છે. સ્થાનિકોની વેદના: 'હેરિટેજ નહીં, વઢવાણને સ્મશાન બનાવી દીધું' વોર્ડ નં. 12ના રહીશો અને રાજકીય અગ્રણીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું માનવું છે કે, મહાનગરપાલિકા બન્યા બાદ વઢવાણની ગરિમાને ઠેસ પહોંચી છે. વઢવાણનું નામ નેસ્તનાબૂદ કરવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર પરમારે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, વઢવાણને હેરિટેજ બનાવવાના નામે 25 થી 50 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, પણ પરિણામ શૂન્ય છે. ધોળીપોળ બહારની નાની દુકાનો તોડી પાડવામાં આવી, જેનાથી ગરીબ પરિવારો બેરોજગાર બન્યા છે. વઢવાણ જે સંતો-મહંતોની ભૂમિ છે, તેનું નામ ભારતની ડિક્શનરીમાંથી કાઢી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે વઢવાણ વેરાન વગડા જેવું અને સ્મશાન જેવું લાગે છે. અધૂરા પુલ અને ટ્રાફિકની સમસ્યા સ્થાનિક મતદાર ભુપત પરમારે જણાવ્યું કે, વોર્ડ નં. 11, 12 અને 13નો મુખ્ય રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી પુલના કામને કારણે બંધ જેવો છે. જીઆઈડીસી અને માર્કેટયાર્ડ જતો આ મુખ્ય માર્ગ હોવાથી રોજ 20 હજાર લોકો પરેશાન થાય છે. પુલની ઊંચાઈ પણ ઓછી હોવાથી ચોમાસામાં પાણી ફરી વળવાની ભીતિ છે. હેરિટેજ જાહેર કર્યા પછી 200 લોકોની રોજીરોટી છીનવાઈ રમઝાનભાઈ જરકેલાના મતે, હેરિટેજ જાહેર કર્યા પછી 200 લોકોની રોજીરોટી છીનવી લેવાઈ છે. ઐતિહાસિક કિલ્લો જર્જરિત હાલતમાં છે અને તંત્ર પાસે તેના સંચાલન માટે કોઈ આયોજન નથી. લોકોની હાલત મનપા બન્યા પછી વધુ ખરાબ થઈ છે. પાયાની સુવિધાઓનો અભાવ સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નં. 12માં 'વિકાસ'ના નામે થયેલા વિનાશ અને 'હેરિટેજ'ના નામે છીનવાયેલી રોજીરોટી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનશે. શું ભાજપ નવા 21 હજાર મતદારોને રીઝવી શકશે કે પછી વઢવાણની જનતા 'નામ અને ઓળખ' ભૂંસવાના પ્રયાસનો બદલો મતદાન પેટીમાં લેશે તે જોવું રસપ્રદ રહેશે. ----આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
વૈભવી વારસો બન્યો જર્જરિત:ત્રાપજની કૃષ્ણકુમારસિંહજી ડિસ્પેન્સરી 66 વર્ષથી ખંડેર
અખાત્રીજનો દિવસ એટલે ભાવનગરનો સ્થાપના દિવસ. ભાવનગર (જૂનું નામ ભાવેણા)ના 304માં સ્થાપના દિવસને લઈ અખાત્રીજના દિવસે સરકારી વિભાગો દ્વારા પરંપરાગત રીતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરના સ્થાપનાની સાથે અખંડ ભારતમાં પાયાના પથ્થર સમાન ભૂમિકા ભજનવાર ભાવનગર રાજ્યના છેલ્લા પ્રજા વત્સલ શાસક મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને યાદ કરવામાં આવે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે પોતાની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સને-1919માં તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી બનાવી હતી. જોકે સને-1947માં આઝાદી મળ્યાના 79 વર્ષ બાદ સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી 107 વર્ષ જુની ઐતિહાસિક સ્મારક સમાન શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી ચામાચીડિયાનું ઘર બની ગઈ છે. રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલે સને-1947માં અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાના ભાવનગર રજવાડાની સંપત્તિ દેશને સમપર્ણ કરી દીધી હતી. જેમાં રાજવી કૃષ્ણકુમારસિંહજીના પ્રજા વત્સલ કાર્યોનો સ્મૃતિ સમાન ત્રાપજ ગામ નજીક આવેલ શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીને પણ દેશને અર્પણ કરી હતી. ત્રાપજ ગામમાં સરકારી દવાખાનાની સવલત થયા બાદ સને-1960ના દાયકામાં શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનો તબીબી સંશાધનોને ત્રાપજ સરકારી દવાખાનામાં તબદીલ કરવામાં આવ્યા હતા. જેના છ દાયકા બાદ સરકારી તંત્રવાહકોની ઘોર બેદરકારીથી ઐતિહાસિક સ્મારક સમાન શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી જર્જરિત બનતા ઝાડી ઝાંખરા ઉગી નીકળવાની સાથે ચામાચીડિયાનું આશ્રયસ્થાન બન્યું છે. વર્ષ-2000ની આસપાસમાં શ્રી કૃષ્ણકુમાર ડિસ્પેન્સરી અને પટાંગણમાં સાફસફાઈ કરાવી સ્થાનિક અને રાજ્ય કક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં વિરાંજલી વનના નામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. જે સરકારી કાર્યક્રમના ફોટો સેશન બાદ ફરી પ્રજા વત્સલ રાજવીના સ્મૃતિ સમાન સ્મારકની જાણવણીની ફરજ વિસરાઈ ગઈ છે. ત્યારે કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનો યોગ્ય જાળવણી થાય તે ખુબજ જરૂરી છે. ડિસ્પેન્સરીનું 107 વર્ષ પહેલા કરાયો હતો શિલાન્યાસપોતાની રૈયતની આરોગ્ય સુખાકારી માટે ત્રાપજ ગામ નજીક રાજવી કૃષ્ણકુમારસિંહજીએ કૃષ્ણકુમાર ડિસ્પેન્સરીનું નિર્માણ કરાવ્યું હતું. 19મી જૂન 1919માં પાલોનપુરના નવાબ સાહેબ એચ.એચ. દેવવાન મહાખાન ઝુબ-તુલ-મુલ્ક કપ્તાન તાલે મહોમદ ખાંજી સાહેબ બહાદુરની વિનંતીથી સર ભીલસિંહજી સી.એસ.આઈ. ભાયનાકરના મહારાજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હોવાનો શિલાલેખ આજે પણ અહીં મોજુદ છે.
RTE:આગામી 4 મેએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે
ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં 25 ટકા સંખ્યાને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 4 મે રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તારીખ 4 એપ્રિલથી 23 એપ્રિલ એટલે કે 20 દિવસનો સમય મળશે જ્યારે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને મંજૂર કે ના મંજૂર કરવા માટેનો સમયગાળો 4 એપ્રિલ થી 25 એપ્રિલ એટલે કે 22 દિવસનો રાખવામાં આવ્યો છે. માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 27 એપ્રિલથી 29 એપ્રિલ ત્રણ દિવસ રહેશે. માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોય તેવા ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય ગાળો 27 એપ્રિલથી 30 એપ્રિલ ચાર દિવસનો રહેશે અને અંતે ચોથી મેના રોજ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ ની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 9722 જેટલી શાળામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ ધોરણ-1માં 25 ટકા બેઠકોના હિસાબે કુલ 84700 બેઠક પર 4 એપ્રિલથી શરૂ થયેલી પ્રવેશ કાર્યવાહીની અંતિમ મુદત 17 એપ્રિલથી લંબાવીને 23 એપ્રિલ કરાઈ છે. વિવિધ અંગત કે ટેકનિકલ કારણોસર રજિસ્ટ્રેશનથી વંચિત વિદ્યાર્થીઓ નોંધણી કરાવી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.
પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના અને સમસ્ત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભક્તિમય માહોલમાં નીકળશે વિશાળ મહાશોભાયાત્રા જેમાં 2500 થી વધુ યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આગામી તારીખ 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ભાવનગરની ઘરતી પર એક ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમર્પિત આ યાત્રા શિસ્ત અને સંસ્કારના સંગમ સાથે નીકળશે. યાત્રાનો પ્રારંભ અને રૂટ ભક્તિ અને શક્તિના આ મહોત્સવનો પ્રારંભ રવિવારે સવારે 8 કલાકે સદગુરુ આશ્રમથી મંત્રોચ્ચાર સાથે સંતશ્રીઓ, રાજકીય, સામાજિક મુરબ્બીઓની વિશેષ ઉપસ્થિતિમાં થશે. આ શોભાયાત્રા શહેરના નિર્ધારિત માર્ગો પર ભ્રમણ કરી બપોરે 12.30 કલાકે શિવકુંજ આશ્રમ, અધેવાડા ખાતે વિરામ લેશે. ત્યાં ધર્મ સભા થશે ત્યાં ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. આકર્ષણના કેન્દ્રો આ શોભાયાત્રામાં આશરે 2500 જેટલા ઉત્સાહી બ્રહ્મ યુવાનો પારંપરિક ડ્રેસ કોડ અને ડીજેના તાલે જોડાશે. યાત્રાની શોભા વધારવા માટે સંતશ્રીનો રથ અગ્રેસર રહેશે. આ સાથે જ નવદુર્ગાઓના સ્વરૂપે બાળાઓ અને શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાલતો યજ્ઞ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન પરશુરામ દાદાની વિશાળ 'ફરસી' સાથેનો ભવ્ય રથ ભક્તો માટે દર્શનનું મુખ્ય કેન્દ્ર રહેશે. સર્વધર્મ સમભાવનો સંદેશ આ આયોજનની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વિના તમામ સનાતન હિંદુ પરિવારો જોડાશે. મહિલા મંડળો, બ્રહ્મ અગ્રણીઓ, ટ્રેક્ટર, ફોર વ્હીલ અને ટુ વ્હીલર સાથે મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડશે. માર્ગમાં ઠેર-ઠેર રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા અને પાણીના સ્ટોલ ઊભા કરી યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આયોજકોની અપીલ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ આયોજક કમિટીના સભ્યો અને યુવા પાંખ રાત-દિવસ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજક કમિટી દ્વારા ભાવનગર જીલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને ભગવાન પરશુરામજીના દર્શનનો લાભ લેવા અને શોભાયાત્રામાં સહભાગી થઈ સનાતન સંસ્કૃતિના આ પર્વને ગૌરવવંતું બનાવવા નમ્ર અપીલ કરી છે.સવારે 7 કલાકે આખલોલ મહાદેવ પાસે રાજકોટ રોડ પર ફરસીનુ પુજન અને સાંજે 6.30 કલાકે પરશુરામ પાર્ક સુભાષનગરમાં સમુહમાં મહાઆરતી રાખેલ છે.
એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટ:જિલ્લામાં ફરી બે દિવસ માવઠાની આગાહી
ગુજરાતમાં 40 ડિગ્રીથી 42 ડિગ્રી તાપમાને ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે ત્યારે આવતી કાલ તા. 19 અને 20 એપ્રિલે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાનમાં આજે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આ અગાઉ ભાવનગરમાં આ એપ્રિલ માસમાં પ્રથમ સપ્તાહમાં બે માવઠા વરસી ગયા હતા. હવે ત્રીજા માવઠાની આગાહી આવતા ખેડૂતો સાવ નિરાશ થઇ ગયા છે. હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. તા.19 એપ્રિલ અને 20 એપ્રિલ, શનિવાર અને રવિવાર, બે દિવસ દરમિયાન ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. અલનીનો અસરને કારણે દેશમાં તેમજ ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે. શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયુ, એક માસમાં ખેડૂતોના માથે ત્રીજીવાર સંકટપ્રતિકૂળ પરિસ્થિતિ અને માવઠાના માર વચ્ચે પણ કેરીના આગમનથી સ્વાદ શોખીનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. કેસર અને હાફૂસના ગઢ ગણાતા વલસાડ, ગીર, તાલાલા અને જેસરની કેરીઓની સુગંધ તો હવે દેશના સીમાડા વટાવી ગઈ છે. ત્યારે ભાવનગરની મધ્યમાં જ આવેલ એક આંબા પર નજાકતથી બેસેલી કેરી લોકોના જઠરાગ્નિને ઉશ્કેરી રહેલી દ્રશ્યમાન થાય છે. હવે તા.19 અને 20 એપ્રિલે માવઠાની આગાહી છે ત્યારે આ આંબા અને કેરીઓને તેનો ડર છે. બપોરે તાપમાન સામાન્યથી 1 ડિગ્રી વધુ નોંધાયુભાવનગર શહેરમાં આજે બપોરે તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે આ સમયગાળામાં હોવું જોઇએ તે સામાન્ય તાપમાનથી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન 25.6 ડિગ્રી હતુ જે સામાન્યથી 0.7 ડિગ્રી વધુ અને અમદાવાદના લઘુત્તમ ઉષ્ણતામાન 26.0 ડિગ્રી પછી રાજ્યમાં બીજા નંબરે નોંધાયુ હતુ.
આજે વર્લ્ડ લીવર ડે:ડાયાબિટીસને લીધે 10માંથી 3 વ્યક્તિને ફેટી લીવરનું જોખમ
વિશ્વમાં 19 એપ્રિલે લીવર રોગોની અવેરનેસ માટે ‘વર્લ્ડ લીવર ડે’ મનાવવામાં આવે છે.લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે તે પોષક તત્વોની પ્રક્રિયા કરવા, ઝેર તત્વોને ફિલ્ટર કરવા અને પિત ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણી શકાય છે. હાલ ફાસ્ટ લાઇફના લીધે મહિલા તેમજ પુરુષોમાં બેઠાડું જીવનના કારણે ડાયાબીટીસ, સ્થુળતા વગેરેના પ્રમાણમાં વધારો થયો છે જેના કારણે લીવર બગડે છે. એસીડીટી, ગેસ, પેટમાં દુખાવો સતત રહેતો હોય તો સોનોગ્રાફીમાં ફેટી લીવરનું નિદાન થાય છે. દર 10માંથી 3 જણને ફેટી લીવરનું નિદાન થાય છે. જોકે ફેટી લીવરનું નિદાન થાય એ પછી સમતોલ આહાર લેવો, તીખું, તળેલું, ફાસ્ટફુડ, જંકફુડથી દુર રહેવું તેમજ યોગ્ય કસરતો કરવાની તબિબો સૂચન કરે છે. જો કે, હાલમાં ફેટી લીવરનું જોખમ મહિલા - પુરુષોમાં 50-50 ટકા જેટલું છે. રિપોર્ટ અનુસાર દર વર્ષે લીવરની બિમારીથી 20 લાખથી વધુ લોકો મોતને ભેટે છે અને 2035માં 35 ટકા જેટલા વધારાની સંભાવના છે. અગાઉ દારૂ પીનારા લોકોમાં લિવરની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હતી, પરંતુ હવે ડાયાબિટીસ, મેદસ્વીતા, બ્લડપ્રેશર અને અનિયમિત જીવનશૈલીના કારણે અન્ય લોકોમાં પણ લીવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. લીવરની બિમારીથી દર વર્ષે 20 લાખથી વધુ લોકો મોતને ભેટે છે. લીવર 24 કલાક તમારી સેવામાં રહે છેજો કોઈ વ્યક્તિ આઠ કલાક સુધી ખોરાક ન ખાય તો તેના શરીરમાં સુગરનું પ્રમાણ ઘટે નહીં તેની પણ લીવર વ્યવસ્થા કરે છે. મગજને દર મિનિટે ખાંડની જરૂર પડે છે. તેથી, તમે સૂતા હો કે જાગતા હો, લીવર 24 કલાક તમારી સેવામાં રહે છે. લીવર શરીરમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની માત્રાને એવી રીતે ગોઠવે છે કે તમારા શરીરમાં તેની વિપુલતા કે ઉણપ ન હોય. તેથી, લીવરની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. લીવર સારૂ રાખવા શું કરવું ?લીવર સારૂ રાખવા માટે ખાણીપીણી પર ધ્યાન રાખો, આહારમાં લીલા શાકભાજી, ફળો, આદુ, લસણનો સમાવેશ કરો, આહારમાં કઠોળ, ચણા, અખરોટ, મખાના, દહીં, દૂધનો સમાવેશ કરો. દરરોજ જોગિંગ, દોરડા કૂદવા, દોડવું, યોગા કરો તેમજ પ્રોટીન અને ફાઈબરયુક્ત આહાર લો.મોસમી ફળો અને શાકભાજી જેમાં ફાયબર હોય તે વધુ ખાવાનું રાખો.
ભાવનગર એલસીબી અને પેરોલ ફાર્લોના બ્રાંચના ત્રણ કોન્સ્ટેબલ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં રજૂઆત કરી આ પોલીસ કર્મચારીઓની અન્ય સ્થળે બદલી કરવાની માંગ કરી છે. ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગારિયાધાર તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાર્યકરોને ભાવનગર ખાતેની એલસીબીના પોલીસ કર્મચારી જીતુભાઈ ડાંગર, રાજુભાઈ વાઘેલા અને પેરોલ ફર્લોના સોહિલભાઈ ચોકિયા નામના પોલીસ કર્મચારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. ઉમેદવારો અને કાર્યકરો પ્રચારમાં જાય છે તેમને ખોટી રીતે પકડીને રસ્તામાં બેસાડીને મોબાઈલો તેમજ અન્ય વસ્તુઓ લઈ લેવામાં આવે છે. ઉમેદવારો કાર્યકરોને પ્રચાર કરતા અટકાવવામાં આવે છે. તેને કારણે મુક્ત રીતે ચૂંટણી થઈ શકે તેમ નથી. તેથી તેઓને રક્ષણ મળે તેવી માંગણી કરવામાં આવી છે. અન્ય અજાણ્યા જે પોતાની એલસીબી પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપે છે અને તેઓ સફેદ કલરની મોટરકાર નંબર પ્લેટ વગરની લઈને ચારથી પાંચ શખ્સો સતત બધાને બોલાવીને હેરાનગતિ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ પ્રચારમાં અવરોધ ઊભો કરતા આવા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવા તેમજ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. ધારાસભ્યની રજૂઆત અંગે યોગ્ય તપાસ કરાશેગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પોલીસ કર્મચારીઓ સામે કરેલી ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. > નિતેશ પાંડેય, જિલ્લા પોલીસ વડા, ભાવનગર
41 કરોડનો ડ્રેનેજ પ્રોજેક્ટ:3 વર્ષ પહેલા આરોપનામુ ઘડનારી મહાપાલિકાએ જ તમામને આરોપમુક્ત કર્યા
કોર્પોરેશન વિસ્તારમાં નવા ભળેલા ચાર ગામોના 41 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી બદલ ત્રણ વર્ષ પૂર્વે 11 અધિકારી કર્મચારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત હતી. સમય જતા ત્રણ અધિકારી કર્મચારીના ખુલાસા યોગ્ય લાગતાં તેઓ પરથી આરોપ હટાવી લેવાયા હતા, પરંતુ બાકી રહેલા આઠ અધિકારી કર્મચારી સામે ચાલી રહેલ તપાસમાં પણ અધિકારી કર્મચારીઓ નિર્દોષ હોવાનું સાબિત થયું છે. એટલે કે, તત્કાલીન સમયે જે કોઈ અધિકારીએ 11 અધિકારી કર્મચારીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હશે તે ખુદ બેદરકાર હશે અથવા તો હાલમાં થયેલી તપાસમાં છીંડા હશે તે સાબિત કરે છે. ભાવનગર કોર્પોરેશનમાં સીદસર, તરસમિયા, રૂવા અને અકવાડા ગામનો સમાવેશ થયા બાદ આ નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા માટે 41 કરોડનો પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ યશ હાઈડ્રોફોનિક્ષ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યો હતો. પરંતુ ડ્રેનેજ પ્રોજેક્ટ વર્ષ 2019 - 20 માં શરૂ થયો હતો અને વારંવાર સમય મર્યાદા વધારવા છતાં પ્રોજેક્ટનું કામ અધૂરું જ રહેતું હતું. યોજના વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી દાખવી હોવાને કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ થતું ન હતું, મુખ્ય ટ્રંક લાઈનના મેન હોલના લેવલ અને નાખેલી લાઈનના લેવલના સ્કેચ સાથે યોગ્ય ગ્રેડ જળવાઈ રહેતો ન હતો. નેટવર્ક તેમજ ઘરના જોડાણોની કુંડીના લેવલની પણ તપાસ થઈ હતી. તત્કાલીન સમયે આ તમામ બાબતોમાં બેદરકારી યોજના વિભાગના અધિકારી કર્મચારીઓને હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમજ યોજના વિભાગના તત્કાલીન અને પૂર્વ કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેર સહિત 11 સામે વર્ષ 2023માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્પોરેશનના ખુદ અધિકારી કર્મચારીઓ સામે જ કોર્પોરેશને ચાર્જશીટ દાખલ કરી હોય તેમાં કંઇક બેદરકારી હશે તો જ આરોપનામું ઘડાયું હશે. પરંતુ ત્યારબાદ ગત ઓક્ટોબર 2024 માં 11 પૈકી ત્રણ અધિકારી કર્મચારીઓના જવાબ માન્ય રાખી 8 અધિકારી કર્મચારીઓના જવાબ અમાન્ય રાખી તેની સામે તપાસનીશ અને રજૂઆત અધિકારીની કમિશનરે નિમણૂક પણ કરી હતી. તે પણ વિવાદની ગંભીરતા દેખાડે છે. પરંતુ ત્યારબાદ પુનઃ તપાસ અને ખુલાસાની કાર્યવાહી શરૂ કરી અને તમામ આઠ અધિકારી કર્મચારીની ત્રણ વર્ષ પૂર્વે લગાવેલા આરોપ ખોટા હોવાનું સાબિત થયું. તમામને આરોપ મુક્ત કરવામાં આવ્યા. હાલમાં થયેલી તપાસમાં જો સત્યતા હતી તો ભૂતકાળમાં અધિકારી કર્મચારીઓ સામે લગાવેલા આરોપ પાયાવિહોણા હોવાનું સાબિત થાય છે. અધિકારી-કર્મચારી સીધા દોષિત ન હતાચાર ગામ ડ્રેનેજ પ્રોજેક્ટમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવી છે. જેમાં સીધા કોઈ અધિકારી કર્મચારી દોષિત ન હતા. કોન્ટ્રાક્ટરની થોડી ઘણી જે ક્ષતિઓ હતી તે પણ કોન્ટ્રાક્ટરના ખર્ચે દૂર કરવામાં આવી છે. અંદાજે 70 કિલોમીટરના ડ્રેનેજ નેટવર્કની તપાસ કરવામાં આવી છે. સોપાયેલું કામ પૂર્ણ કરાયું છે. > મૌલિક પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી મામલે કોની સામે ઘડાયા હતા આરોપનામાડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી બદલ યોજના વિભાગના તત્કાલીન કાર્યપાલક ઇજનેર એમ.આર. કુકડીયા, પી.જે.ચુડાસમા, એસ.વી. ગોહિલ, ડેપ્યુટી ઇજનેર આર.કે. મિયાણી, એ.સી. પડસાલા, એન.સી.પરમાર, એ.આર. ડોબરીયા, વી.યુ. મોરી, મીત રાઠોડ, હર્ષ પટેલ અને આકાશ જાદવ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન ઘણા અધિકારી કર્મચારી રિટાયર્ડ પણ થઈ ગયા છે.
ભાવનગરના રાજવી 1800 પાદરના ધણી કહેવાતા હતા. આવતી કાલ તા. 19 એપ્રિલને રવિવારે અખાત્રીજના પર્વે ભાવનગર 303 વર્ષ પૂર્ણ કરી 304માં વર્ષમાં પ્રવેશ કરશે. ભાવનગરના 304માં જન્મ દિવસે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દૂરંદેશી અને ન્યાય પ્રણાલીની ગૌરવગાથા પર નજર નાખવી જરૂરી છે. કારણ કે ખુદ ગાંધીજીએ કહ્યું હતુ કે, ‘જો દરેક રાજા કૃષ્ણકુમારસિંહજી જેવા હોય તો આ દેશને લોકશાહીની નહીં, રાજાશાહીની જરૂર છે.’ શિક્ષણક્ષેત્રની વાત કરીએ તો દેશની પાંચ આઈઆઈટીના મૂળમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની વિચારધારા છે. પીવાના પાણી અને ભૂગર્ભ જળ ઉંચુ રહે તે માટે બોરતળાવના સ્ત્રાવ વિસ્તાર એવા ખોખરાના ડુંગરોમાં માત્ર પાંચ ઈંચ વરસાદ વરસે ત્યાં બોરતળાવ (ગૌરીશંકર સરોવર) ઓવરફ્લો થઈ જતુ હતું. આ ઓવરફ્લોનું પાણી ગંગાજળીયા તળાવમાં પહોંચાડવા અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નખાઈ હતી. જેના કારણે સમગ્ર શહેરના પાણીના તળ બારેમાસ ઉંચા રહેતા હતા. પોતાનો સ્વતંત્ર રેલવે વિભાગ શરૂ કરનાર ભાવનગર ભારતનું પ્રથમ રાજ્ય હતું. અહિં સામાજિક દૂષણ હોય કે ગૌરક્ષા તેનું એવુ જતન થતુ કે ગૌહત્યા બદલ ફાંસીની સજાનો કાયદો હતો જ્યારે ભાવનગર રાજ્યમાં એવી ચુસ્ત દારૂબંધી હતી કે મેડિકલના નિયમો મુજબ પણ દારૂ પીવાની પરવાનગી આપવામાં આવતી ન હતી. દેશની 5 IITના મૂળમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદ્રષ્ટિઇ.સ. 1932થી 1948 દરમિયાન ભાવનગર રાજ્યએ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને યુરોપ અને અમેરિકાની જગવિખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં ભણવા મોકલ્યા હતા. તે પૈકીના એક વિદ્યાર્થી ડો. અનંત પંડ્યાને અમેરિકાની એમઆઇટીમાં ભણવા માટે મદદ કરી હતી. બાદમાં આ સ્કોલર વિદ્યાર્થીએ ભારત પરત ફરીને ભારત સરકારના આયોજન વિભાગમાં રહીને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલજીને ભારતમાં આવી સંસ્થાઓ સ્થાપવાની સલાહ આપી હતી તે મુજબ ખડગપુર, મુંબઇ, કાનપુર, મદ્રાસ અને દિલ્હીમાં આઇ.આઇ.ટી.ની સ્થાપના કરાઈ હતી. આમ આ પાંચેય સંસ્થા સ્થપાઇ તેના મૂળમાં ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી અને તેના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની દીર્ઘદ્રષ્ટિ છે તેમ ઇતિહાસવિદ ડો. લક્ષ્મણ વાઢેરે જણાવ્યું હતુ. પીવાનું પાણી અને ભૂગર્ભ જળ બંનેના સમન્વય સમા બે તળાવબોરતળાવ જળાશયનું નિર્માણ મુખ્યત્વે શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું. બોર તળાવની સ્થાપના 1872માં થઈ હતી. તે 19મી સદીના કુશળ દિવાન ગૌરીશંકર ઓઝાના નામ પરથી ગૌરીશંકર લેક તરીકે ઓળખાય છે. 1932માં વસ્તી વધતા ભારતના વિશ્વેસરૈયા જેમને ભારત રત્ન અપાયેલો તેમણે તળાવની ડિઝાઈન ફરીથી બનાવી વિસ્તાર વધાર્યો હતો. તળાવની આસપાસ બગીચાઓ અને પાળીનું નિર્માણ કરાવી તેને એક લોકપ્રિય પિકનિક સ્પોટ તરીકે વિકસાવ્યું હતું. આ આયોજનને કારણે દુષ્કાળના સમયે પણ ભાવનગરને પાણીની તકલીફ ઓછી પડતી હતી. બોરતળાવ છલકાયા બાદ ગંગાજળીયા તળાવમાં ઓવરફ્લો થયેલું પાણી પહોંચે તેવી પાણીની લાઈન નાંખી સમગ્ર શહેરના ભૂગર્ભ જળ ઉંચા રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ભૂગર્ભ ગટર અને ટાઉનશીપનું મોડેલ અન્ય શહેરો માટે પ્રેરણારૂપભાવનગર આખા ગુજરાતમાં ભૂગર્ભ ગટર યોજના ધરાવનાર જૂજ શહેરોમાંનું એક હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શહેરીજનોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે 1944થી જ ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ કરાવી દીધું હતું. આ આયોજન એટલું સચોટ હતું કે આજે પણ શહેરનો 98% વિસ્તાર તેનાથી આવરી લેવાયેલો છે. કૃષ્ણનગર જેવા વિસ્તારોમાં 10 થી 12 ફૂટ પહોળી ગલીઓ માત્ર ડ્રેનેજ અને અન્ય પબ્લિક યુટિલિટી લાઇનના મેન્ટેનન્સ માટે જ રાખવામાં આવી હતી. કૃષ્ણનગર ટાઉનશીપ મોડલ ટાઉનશીપ હતી જે વી. સી. મહેતાએ વિકસાવી હતી. આ ટાઉનશીપનુ મોડેલ બીજા અનેક શહેરોએ અપનાવ્યું હતું. જે ભાવનગર સ્ટેટની દૂરંદેશીનું ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ રજવાડા સમયની આ વ્યવસ્થા અડિખમ ઉભી છે. સ્વતંત્ર રેલવે વિભાગ શરૂ કરનાર ભાવનગર ભારતનું પ્રથમ રાજ્યભાવનગર રાજ્ય પોતાનો સ્વતંત્ર રેલવે વિભાગ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હતું. બ્રિટિશ સરકારની આર્થિક મદદ વગર સ્વખર્ચે ‘ભાવનગર સ્ટેટ રેલવે’ (BSR) નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1880 માં ભાવનગર ટર્મિનસથી વઢવાણ સુધીની રેલવે લાઇન ખુલ્લી મુકાઈ હતી. આ રેલ સુવિધાને કારણે ભાવનગરના બંદરનો વેપાર અને ઉદ્યોગોનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો. રેલવેમાં સુવિધા મળી તે 1880ના વર્ષમાં કાર્યરત થઈ તેમાં સમગ્ર ખર્ચના એક ભાગ ગોંડલે આપ્યો ત્યારે બાકીના ત્રણ ભાગ ભાવનગર રાજ્યે આપ્યા હતા. આ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે હતી. રજવાડા સમયે આવી રેલવે સુવિધા ધરાવતા ભાવનગરની કરૂણતા એ હતી કે બ્રોડગેજ માટે મોટું ફંડ રજવાડાએ આપ્યા છતાં છેક છેલ્લે બ્રોડગેજ મળી હતી. ગૌ હત્યા બદલ ફાંસી અને ચુસ્ત દારૂબંધીથી સુરક્ષિત રજવાડુંમહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમના પિતાજીની સ્મૃતિમાં મહારાજા ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટી (હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર યુનિવર્સિટી) પણ તેમના શૈક્ષણિક વિઝનનું પરિણામ છે. દ્રષ્ટિહીન લોકો માટે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના એ તેમનું માનવીય અભિગમ ધરાવતું દૂરંદેશી પગલું હતું. 19 મી સદીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં જ કોલેજ હતી. આ શામળદાસ કોલેજમાં ગાંધીજી પણ ભણ્યા હતા. ભાવનગર રાજ્યમાં 19મી સદીમાં દુષ્કાળ પડ્યો ત્યારે ગૌવંશની હત્યા કરનારને ફાંસીની સજાનો નિયમ કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં ચુસ્ત દારૂબંધી હતી જેમાં મેડિકલ નિયમો મુજબ પણ દારૂ પીવાની પરવાનગી મળતી ન હતી.
ગુજરાતની પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં હાલ પ્રચાર કાર્ય તેના મધ્યાહ્ને છે, આવતાં શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે, પરંતુ આ પાંચ દિવસ દરમિયાન ભાજપ હવે મહિલા અનામત બિલનો મુદ્દો ચગાવવા માટે તેના શસ્ત્રો સજાવી રહ્યું છે. રવિવારે કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે ગુજરાત આવી રહ્યાં છે અને તેઓ અહીંથી આ મુદ્દે સંબોધન કરીને ગુજરાતમાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને ઘેરવાનો પ્રયત્ન કરશે. કેન્દ્ર સરકારે સંસદમાં લાવેલો બંધારણીય સુધારો લોકસભામાંથી પસાર ન થતાં હવે ભાજપ મહિલા અનામત વિપક્ષના વિરોધને કારણે શક્ય ન બની તે મુદ્દો ગજવવા તૈયાર છે. આ અગાઉ કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓ સંદર્ભે જે ટિપ્પણી કરી હતી તે અંગે ભાજપે તેમનો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો અને તે મુદ્દો ચૂંટણીમાં સતત ગાજતો રહેવાનો હતો, પરંતુ ખડગેએ માફી માગી લેતાં ભાજપને આ મુદ્દે પોતાના કાર્યક્રમો આટોપી દેવા પડ્યા હતા. આ દરમિયાન શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જાહેર સંબોધન કર્યું તેનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના ગુજરાત ભાજપના નેતાઓએ જોયું હતું. આ પછી હવે વોર્ડ સ્તરે ભાજપના કાર્યકરો વિરોધ કાર્યક્રમ યોજશે અને મહિલાઓને વિપક્ષ રાજકારણમાં આવવા દેવા નથી માગતું તેવો પ્રચાર કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શનિવારે સુરતમાં યોજેલી પ્રચાર રેલીમાં તેમણે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, કોંગ્રેસે આ બિલનો વિરોધ કરીને દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. ગુરુવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં આ મુદ્દા પર ભાષણ કરીને કોંગ્રેસને આડા હાથે લીધી હતી. ધંધુકાનો બનાવ :હિંદુવાદી સંગઠનો જ ગુસ્સામાંઆ તરફ શનિવારે ધંધુકામાં માત્ર બાઇક ઓવરટેક કરવાની ઘટનામાં એક યુવકની હત્યા થઇ જતાં કોમી તંગદીલી છવાઇ હતી. પોલીસે આ નગરમાં દુકાનો અને અન્ય જાહેર એકમો સાવચેતીના કારણોસર બંધ કરાવ્યાં હતાં. આ ઘટના મુદ્દે હિન્દુવાદી સંગઠનો ગુસ્સામાં છે. એક તરફ જ્યાં સત્તાપક્ષ ભાજપ મહિલા અનામતનો મુદ્દો આગળ ધપાવવા માગે છે, ત્યાં હિન્દુવાદી સંગઠનોના વિરોધને કારણે તકલીફમાં મુકાઇ શકે છે.
નોકરી ન્યુઝ:BPCLમાં 250 એક્ઝિક્યુટિવની ભરતી વાર્ષિક રૂ. 17 લાખ સુધીનું પેકેજ અપાશે
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જૂનિયર એક્ઝિક્યુટિવ, એસોસિએટ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી સહિતની 250 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 17 મે સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ પોસ્ટ્સ માટે પસંદગી પામેલા ઉમેદવારોને વાર્ષિક રૂ. 17.11 લાખ સુધીનું સીટીસી પેકેજ મળશે. સૌ પ્રથમ સ્ક્રૂટિની દ્વારા વિગતો અને અનુભવના આધારે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે કોમ્પ્યુટર બેઝ્ડ લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પાસ કરનારાઓએ ગ્રુપ ટાસ્ક કે ચર્ચામાં ભાગ લેવાનો રહેશે. અંતે, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ બાદ મેરિટના આધારે આખરી પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ઉમેદવારોએ તમામ અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવું અનિવાર્ય છે, જેમાં કોઈપણ ક્ષતિ જણાયે અરજી રદ થઈ શકે છે. પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે દરેક તબક્કાનું મૂલ્યાંકન સખત માપદંડો હેઠળ કરવામાં આવશે. આ લાયકાત હોવી ખૂબ જરૂરીએન્જિનિયરિંગ ડિપ્લોમા, એકાઉન્ટ્સ (Inter CA), એમેનિટીઝ, સેક્રેટરી, QA (M.Sc) કે હિન્દી માસ્ટર્સમાં 55-60% ગુણ અને 3-5 વર્ષનો અનુભવ જરૂરી. SC/ST/PwBD ને 5% છૂટ છે. વયમર્યાદા અને અન્ય શરતો નોટિફિકેશન મુજબ જ રહેશે. આ જગ્યાઓ ભરાશે
SVNITમાં શૈક્ષણિક વર્ષ 2024-25 અને 2025-26માં DASA ક્વોટા હેઠળ થયેલા 145 પ્રવેશના ડેટામાં નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ હવે મિકેનિકલ કે કેમિકલ જેવા પરંપરાગત કોર એન્જિનિયરિંગને બદલે સોફ્ટવેર અને કોડિંગ બ્રાન્ચ પસંદ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં 68% થી વધુ એટલે કે કુલ 99 વિદ્યાર્થીઓએ માત્ર કમ્પ્યુટર સાયન્સ (CS) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં પ્રવેશ મેળવ્યો છે. ભૌગોલિક રીતે જોતા ગલ્ફ દેશોના NRI પરિવારો માટે સુરત પ્રથમ પસંદગી છે. બે વર્ષમાં સૌથી વધુ 40 વિદ્યાર્થીઓ UAEથી આવ્યા છે. નોંધપાત્ર છે કે, અમેરિકા (USA) થી 13 અને બ્રિટન (UK) થી 1 વિદ્યાર્થીએ વિશ્વની યુનિવર્સિટીઓના વિકલ્પ વચ્ચે SVNIT પસંદ કરી છે. વિદેશી પાસપોર્ટ ધરાવતા હોવા છતાં, ભારતીય મૂળના આ યુવાનો ટેકનિકલ પાયો મજબૂત કરવા ‘રિવર્સ રૂટ’ પકડી રહ્યા છે. 145 પ્રવેશમાં 53 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે, જેઓએ પણ આઈટી ક્ષેત્રની બ્રાન્ચ પર પસંદગી ઉતારી છે. સિવિલ-ઇલેક્ટ્રિકલમાં બે જ વિદેશીએ પ્રવેશ લીધો UAEથી USA સુધીના વિદ્યાર્થીઓ સુરત આવ્યા ભાસ્કર એનાલિસિસ - માઉસ vs મશીન: દર 10માંથી 7 વિદ્યાર્થીઓને સોફ્ટવેરમાં જ રસ દેખાયો145માંથી 29 વિદ્યાર્થીઓએ CS, AI અને EC જેવી બ્રાન્ચ પસંદ કરી સોફ્ટવેર ક્રેઝ (89%) દર્શાવ્યો છે, જ્યારે મિકેનિકલ કે સિવિલ જેવી કોર એન્જિનિયરિંગ (11%) શાખાઓમાં માત્ર 6 જ જોડાયા. વિદેશી યુવાનો હવે ફેક્ટરીના પરિશ્રમ બદલે એસી કેબિનમાં કોડિંગ કરવાનું પસંદ કરે છે. આ રિવર્સ ટ્રેન્ડ સાબિત કરે છે કે એન્જિનિયરિંગનું ભવિષ્ય હવે સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર છે. ભાસ્કર એક્સપર્ટ સ્કિલ્સ-ટેક પર ગ્લોબલ ઇન્ડસ્ટ્રીગ્લોબલ ઇન્ડસ્ટ્રી અત્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને AI તરફ વળી રહી હોવાથી NRI વિદ્યાર્થીઓ આ બ્રાન્ચને પ્રાથમિકતા આપી રહ્યા છે. USA અને UK થી વિદ્યાર્થીઓનું સુરત આવવું તે આપણી એકેડેમિક ક્વોલિટીની સ્વીકૃતિ છે. NRI વાલીઓ હવે પશ્ચિમી શિક્ષણ કરતા ભારતીય શૈક્ષણિક પાયા અને શિસ્ત પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે. - ડો. આશિષ ધામણિયા, એકેડેમિક ડિન
ઘોડદોડ રોડ પર સાડીના વેપારીએ મેટ્રિમોનિયલ સાઇટ પરથી યુવતીના સંપર્કમાં આવી ઓનલાઇન ગોલ્ડમાં રોકાણ કરવા જતા 25.75 લાખની રકમ ગુમાવી હતી. આ ગુનામાં પંચમહાલના હાલોલ ખાતેથી પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિકને સાયબર ક્રાઇમે પકડી લાવી છે. પકડાયેલા વેપારીનું નામ ઘનશ્યામ કનુ ઠક્કર(46)(રહે,ઘનશ્યામ નગર, હાલોલ) છે. આરોપીએ બીકોમનો અભ્યાસ કરેલો છે. ઘોડદોડ રોડ પર રહેતા 42 વર્ષીય સાડીના વેપારીએ મેટ્રિમોનિયલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યાર પછી આ વેબસાઇટ પર વેપારીને આયુષી ગુપ્તા નામની મહિલાએ વોટસએપ પર મેસેજ કર્યા હતા. જેમાં લખ્યું કે‘ હું મારા પિતાની રિઅલ એસ્ટેટની કંપનીમાં કામ કરૂ છું, અમારી કંપની ગ્લોબલ ગોલ્ડ માર્કેટમાં રોકાણ કરે છે અને સારુ વળતર અપાવે છે. જેથી અમારી કંપનીમાં રોકાણ કરશો તો સારુ વળતર મળશે.’ એમ કહીને વેપારીને લોભામણી વાતો કરી ઓનલાઇન ગોલ્ડમાં રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં વેપારીએ 43 હજાર રૂપિયાની રકમ રોકાણ કરી હતી. ત્યાર પછી ટુકડે ટુકડે કરી 25.75 લાખ રૂપિયાની રકમનું રોકાણ કર્યું હતું. હતી. રોકાણ કરેલી રકમમાંથી 1.72 લાખની રકમ આરોપી ઘનશ્યામ ઠક્કરના કરંટ ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. વધુમાં આરોપી ઘનશ્યામે પોતાની કંપનીના નામનું કરંટ ખાતુ ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે જઈ બ્રિજેશ નામના વ્યકિતને આપી આવ્યો હતો. બેંક ખાતું આપવા માટે આરોપીને 1.20 લાખ રૂપિયાની રકમ મળી હતી. આરોપીના કરંટ બેંક ખાતાની સાયબર ક્રાઇમે તપાસ કરાવતા તેમાં અલગ અલગ રાજ્યોમાં 8.43 કરોડ રૂપિયા ચીટીંગની 22 ફરિયાદો થયેલી છે. હાલોલનો આ વેપારી ઘનશ્યામ કનુ ઠક્કર વર્ષ 2025માં ચેન્નાઇમાં પણ સાયબર ચીટિંગમાં પકડાયો હતો. ફેક્ટરીમાં ખોટ જતાં ઘનશ્યામ સાયબર ઠગ બન્યોહાલોલમાં ઘનશ્યામ ઠક્કરની પ્લાસ્ટીકની ફેક્ટરી હતી. એકાદ વર્ષ પહેલા ધંધામાં ખોટ જતા ફેક્ટરી બંધ કરી દીધી હતી. ફેક્ટરી બંધ થયા પછી તે ટેલીગ્રામના ગૃપમાં જેમ્સ નામના વ્યકિતના સંપર્કમાં આવ્યો હતો. પછી જેમ્સએ તેને વૃંદાવનમાં બ્રિજેશ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમ્સ વેપારી સાથે વર્ચ્યુઅલ નંબરથી વાત કરતો હતો.
હવામાન વિભાગની આગાહી:આગામી બે દિવસ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી રહેવાની શક્યતા
સુરત શહેરમાં આજે ગરમીનો માહોલ વધુ તીવ્ર બન્યો છે. આજે મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લધુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લધુત્તમ તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ આજનો સાપેક્ષ ભેજ (RH) માત્ર 26 ટકા રહ્યો હતો, જેના કારણે ગરમી વધુ તીવ્ર અનુભવાઈ રહી છે. પવન ઉત્તર-પશ્ચિમ દિશામાંથી લગભગ 4 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તાપમાન વધુ ઊંચું રહેતાં લોકોને ગરમીનો વધારે અહેસાસ થયો હતો. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી બે દિવસ દરમિયાન સુરતમાં તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ગરમીના કારણે બપોરના સમયે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા સલાહતબીબો અને હવામાન નિષ્ણાતો લોકોને બપોરના તીવ્ર તાપમાં બહાર ન નીકળવાની, પૂરતું પાણી પીવાની અને સૂર્યપ્રકાશથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. બીજીતરફ, ટ્રાફિક પોલીસે પણ બપોરે 1થી 4ના સમયગાળા દરમિયાના ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક સિગ્નલ બંધ કરી દીધા છે.
ઠગાઈ:હજીરાની 2 કંપનીમાં નોકરીના નામે દંપતીએ 32 લાખ ખંખેર્યા
પાલ રહેતા વેપારીના પુત્રને હજીરાની બે કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરીની લાલચ આપી કતારગામના દંપતીએ નિર્મલ ધાનાણી અને કિંજલ ધાનાણી (વસનજી પાર્ક, કતારગામ) 32.40 લાખ પડાવ્યા છે. દંપતીએ હજીરાની બે મોટી કંપનીના બોગસ કન્ફરમેશન લેટર અને આઈડી કાર્ડ પણ બનાવી આપ્યા હતા, કંપનીના ગેટ પર સિક્યુરિટી ચેકિંગમાં ભાંડો ફૂટ્યો હતો. યુવકના પિતાની ફરિયાદ પર રાંદેર પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે. બંને ફરાર છે. પાલના વેપારીના પુત્રે સોસીયલ મીડિયા પર જાહેરાત જોઈ નિર્મલ ધાનાણીનો સંપર્ક કરતાં જ્યાં દંપતીએ રિલાયન્સ કંપનીમાં જોબ આપવાની વાત કરી હતી. જેના માટે વેપારીએ 10 લાખ આપ્યા હતા. કંપનીનો કન્ફરમેશન લેટર ગેટ પર ચેક કરતા બોગસ નીકળ્યો હતો. જેના માટે તેણે વિવિધ બહાના બનાવી ઓએનજીસીમાં નોકરી માટે 10 લાખ લીધા હતા. આ વખતે આપેલા જોઇનિંગ લેટર તપાસમાં બોગસ નીકળ્યા હતા. ફેન્સિંગનું કામ કરાવી 12.40 લાખ ન આપ્યાયુવકના પિતા ફેબ્રિકેશનનું કામ કરે છે. આથી દંપતીએ યુવકના પિતા પાસે વતનમાં ફેન્સિંગ કરાવ્યું હતું. જેમાં 12.40 લાખનું કામ કર્યુ હતું. આ રકમ પણ દંપતીએ પુત્રને નોકરી અપાવવાના ખર્ચમાં ગણી ચૂકવણી કરી ન હતી.
બાળકીનું સલામત રેસ્કયૂ કરાયું:અડાજણમાં દરવાજો લોક થતાં બાળકી ફસાઈ, ફાયરે રેસ્ક્યુ કરી
અડાજણ પાટીયા નજીક આવેલા ફિરદોસ ટાવરમાં બે વર્ષની બાળકીએ રમતા રમતા બેડરૂમનો દરવાજો અંદરથી લોક કરી દેતા બાળકી ફસાઈ ગઈ હતી. ભારે મથામણ બાદ પણ દરવાજો ન ખુલતા આખરે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરની ટીમે દરવાજાનો લોક તોડી બાળકીને સલામત રેસ્કયુ કરી લીધી હતી. અડાજણ પાટીયા ફિરદોસ ટાવરમાં દસમા માળે રહેતા મુનીરભાઈ શેખનો પરિવાર શનિવારે સાંજે ઘરે હાજર હતો. દરવાજો બંધ થઈ ગયા બાદ અંદરથી દરવાજો ન ખુલતા મેહરીન રડવા લાગી હતી. પરિવારને જાણ થતા પરિવારે બહારથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે મથામણ છતા દરવાજો ન ખુલતા આખરે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
પાણી કાપ:અડાજણ-રાંદેરના અનેક વિસ્તારોમાં 20 એપ્રિલે સાંજ પાણી નહીં મળશે
શહેરના પશ્ચિમ ઝોન (રાંદેર)માં રહેતા નાગરિકો માટે મહ મહત્વના સમાચાર છે. જોગાણીનગર જળવિતરણ મથક ખાતે પાણીના પ્રેશરમાં સુધારો કરવા માટે પાઇપલાઇન પર વાલ્વ ફિટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 20 એપ્રિલ, 2026 (સોમવાર) ના રોજ સાંજના સમયે અડાજણ અને રાંદેરના અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે. હાઈડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર, જોગાણીનગર ઓવરહેડ ટાંકી હેઠળ આવતા આ વિસ્તારોમાં સાંજે 5:30 થી 8:50 સુધી પાણી મળશે નહીં. નાગરિકોને અગાઉથ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલમહાનગરપાલિકાએ આ કામગીરી અંગે દિલગીરી વ્યક્ત કરી છે અને નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોગાણીનગર ઓવરહેડ ટાંકી હેઠળ આવતા વિસ્તારોને અસર
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌરાષ્ટ્રના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડાયમંડ, ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, જ્વેલરી અને સોલાર ઉદ્યોગના 200થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકાર રાકેશ દુધાતએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બાદ દેશની સાંસ્કૃતિક વિરાસતોના જીર્ણોદ્વાર તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.’ તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હુલ્લડ અને અસામાજિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. સાથે જ તેમણે 24 કલાક વીજ પુરવઠો, ઉદ્યોગોને પ્રોત્સાહન અને વાઈબ્રન્ટ ગુજરાત સમીટ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યના વિકાસને ગતિ મળી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વકર્માએ અંતમાં કહ્યું કે, હું મત માંગવા આવ્યો નથી, પરંતુ રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. ‘દિલ્હીવાળાના શીશમહેલ ખુલ્લા પડ્યા, હવે સુરત ‘ઝાડુ’ સાફ કરશે’મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપના પ્રદેશ મહામંત્રી જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી સભા ગજવતા વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો અગાઉ સરકારી બંગલા કે ગાડી નહીં લેવાની મોટી મોટી વાતો કરતા હતા, તેઓ આજે ‘શીશમહેલ’માં રહીને પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે. દિલ્હીની જનતાએ જેમને પાઠ ભણાવ્યો છે તેમને સુરતની જનતા પણ આ ચૂંટણીમાં ઝાડુ મારીને સાફ કરી નાખશે. કોંગ્રેસને આડેહાથ લેતા તેમણે ઉમેર્યું કે, સંસદમાં જ્યારે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે તેનો વિરોધ કરીને દેશની નારી શક્તિનું અપમાન કર્યું છે. તેમણે નારી શક્તિ સાથે અન્યાય કેમ કર્યો? નર્મદા યોજનાથી લઈને આજદિન સુધી કોંગ્રેસે વારંવાર ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જેનો જડબાતોડ જવાબ ચૂંટણીમાં સુરતની જનતા આપશે.
આપના ઉમેદવારનો પ્રોટેક્શન સાથે પ્રચાર:બાઉન્સરો સાથે ‘આમ આદમી’
શહેરમાં રાજકીય હુંસાતુંસી હવે માત્ર આરોપ-પ્રત્યારોપ સુધી મર્યાદિત રહી નથી પરંતુ વાત હવે ધાક-ધમકી અને બાઉન્સરોના રક્ષણ સુધી પહોંચી છે. શહેરમાં જે રીતે પીઢ નેતાઓએ શંકાસ્પદ સ્થિતિમાં ફોર્મ પરત ખેંચ્યા છે અને અપહરણના પ્રયાસોના આક્ષેપો થયા છે તેના કારણે ઉમેદવારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વૉર્ડ નં-1 જહાંગીરપુરા, વરિયાવ અને છાપરાભાઠાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. સામાન્ય રીતે જનતાની વચ્ચે રહેતા નેતા અત્યારે કડક સુરક્ષા ઘેરામાં ફરી રહ્યા છે. તેમણે હુમલાની ભીતિએ પ્રચાર દરમિયાન બાઉન્સરોની ફોજ ઉતારી દીધી છે. બારોટે કહ્યું કે, ‘ જે રીતે વોર્ડ-18 માં અમારા ઉમેદવાર ગૌતમ પટેલને ઘેરી લઇ કારમાં બેસાડીને લઇ જવાનો પ્રયાસ થયો હતો. આ સિવાય વૉર્ડ નં-1ના કોંગી ઉમેદવાર ઉપર પણ દબાણ કરાયું ત્યારે મારે જીવના જોખમે પ્રચાર કરવો પડી રહ્યો છે, એટલે સુરક્ષા માટે બાઉન્સર રાખવા પડ્યા છે.’
સન્ડે ફોટો સ્ટોરી:400 કરોડના ખર્ચે બનતા આભવા-ઉભરાટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજનું 30% કામ પૂર્ણ
ઉભરાટથી સુરતના આભવા વચ્ચે 13 કિમી લાંબો ફોરલેન માર્ગ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 400 કરોડથી વધુનો ખર્ચ કરાઈ રહ્યો છે. પ્રોજેક્ટનો સૌથી મહત્વનો ભાગ મીંઢોળા ખાડી ઉપર 740 મીટરનો બ્રિજ બનાવવાનો છે. આ બ્રિજ કેબલ સ્ટેડ બ્રિજ પ્રકારનો છે,જેનું 30% કામ થઈ ગયું છે. જુલાઈ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન છે. આ બ્રિજના કારણે સુરતથી ઉભરાટ પહોંચવામાં જે હાલ 43 કિમી થાય છે તે ખૂબ ઘટી જશે. દક્ષિણ ગુજરાતનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વાસીના ટેકસટાઇલ પાર્કનો છે તે પણ ઉભરાટ નજીક છે અને આ બ્રિજ બનતા સુરતથી ત્યાં પહોંચવાના સરળતા રહેશે. તસવીર : રિતેશ પટેલ, ભદ્રેશ નાયક
રાજકોટ શહેર ભાજપમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ છે. આ દરમિયાન એક ગુપ્ત રિપોર્ટ પ્રદેશમાં કરાયો છે. જેમાં શહેરનું સંગઠન નબળું પડી ગયું છે અને જૂના અને નારાજ કાર્યકરો કામ કરતા નથી. તે પક્ષ માટે જોખમ સાબિત કરી છે તેવો રિપોર્ટ બન્યો છે અને પ્રદેશમાં પહોંચ્યો છે. રિપોર્ટ મુજબ રાજકોટ શહેરના જૂના એટલે કે સિનિયર કાર્યકરો, પૂર્વ કોર્પોરેટર, જેમની ટિકિટ કપાઈ તે પૂર્વ કોર્પોરેટર, ટિકિટના દાવેદારો હતા અને ન મળી તે કાર્યકર આ સહિત એટલે કે મહત્તમ મહત્ત્વના કાર્યકર નારાજ છે. તેઓ દેખાવ પૂરતા જ આવે છે અને ફોટા પડાવીને નીકળી જાય છે. જે ઝનૂનથી કામ કરવું જોઈએ તે રીતે કામ થઈ રહ્યું નથી. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપનું સંગઠન પણ નબળું પડી ગયું છે જે પક્ષ માટે નુકસાનકારક છે. રાજકોટ શહેર ભાજપમાં પહેલી વખત ટિકિટ કપાતા દાવેદારો અને તેમના સમર્થકોએ રીતસર ભાજપ કાર્યાલયમાં હલ્લો મચાવ્યાની ઘટના બની હતી. કાર્યાલયની બહાર જમીન પર બેસીને રીતસર ધરણાં કર્યા હતા. આ ઉપરાંત ટિકિટ બીજાને અપાઈ અને મેન્ડેટ બીજુ કોઇ લઈ આવ્યું તેવું બન્યું. આ બધી બાબતો તેમજ પ્રચારમાં થઈ રહેલી કામગીરીને ધ્યાને રાખીને રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં મોકલાયો છે. શહેર મૂકીને પંચાયતમાં કામે લાગ્યા, કોઇએ અટકાવ્યા પણ ખરારાજકોટ શહેરના એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને આગેવાનો છે જેઓ પોતાના વોર્ડમાં પ્રચાર કરી રહ્યા નથી. તેને બદલે તેઓએ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પોતાના મિત્રો, માનીતાઓના પ્રચારમાં લાગી ગયા છે. તો બીજી તરફ એવા પણ ઘણા મોટા કાર્યકરો છે જે પોતાના વોર્ડમાં બીજાને પણ કામ કરવા દેતા નથી. આ રિપોર્ટ પણ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યો છે કે આ બધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ હોવા છતાં શહેર સંગઠન આંખ આડા કાન કરી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં કેન્દ્ર સરકારના સીઆરએસ (CRS) પોર્ટલને ફરજિયાત બનાવતા 2019 પહેલાંનો ડેટા સ્થગિત થઈ ગયો હતો. સરકાર દ્વારા આધારકાર્ડની તમામ પ્રક્રિયામાં નવા ફોર્મેટ મુજબના દાખલાનો નિયમ અમલમાં મૂકતા લોકો જૂના દાખલા બદલાવવા કોર્પોરેશન કચેરીએ લાઈનો લગાવતા હતા. જોકે, જૂનો ડેટા ટ્રાન્સફર ન થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં ખાસ કરીને બાળકોના નવા આધારકાર્ડની કામગીરી અટકી જતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા છેલ્લા 6 માસથી ડેટા ટ્રાન્સફરની કાર્યવાહી કર્યા બાદ હવે બાળકોના નવા ફોર્મેટના દાખલા કાઢવાનું શરૂ કરાયું છે. રાજકોટ મનપામાં અગાઉ આ કામગીરી વોર્ડ વાઈઝ થતી હતી, પરંતુ CRS પોર્ટલમાં આરોગ્ય અધિકારી કે ઓપરેટરોના યુઝર આઈડી તૈયાર ન હોવાથી તમામ નાગરિકોએ એક જ કચેરીએ લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. મનપા પાસે 1950થી જન્મનો અને 1965થી મરણનો ડેટા ઉપલબ્ધ હોવા છતાં, UIDAI એ મનપાના ઇનહાઉસ પોર્ટલના દાખલા સ્વીકારવાનું બંધ કરી માત્ર CRS પોર્ટલના જ પ્રમાણપત્રો માન્ય રાખતા મુશ્કેલી વધી હતી. હવે 90%થી વધુ ડેટા ટ્રાન્સફરની કામગીરી પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આધાર સુધારણા વગર અભ્યાસ અને સારવાર પર અસરજો કોઈ બાળકને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો પ્રથમ આધારકાર્ડ જરૂરી છે, જેના માટે જૂનું પ્રમાણપત્ર ચાલતું નથી. આ ઉપરાંત, ધોરણ 10 કે 12ના બોર્ડના ફોર્મ ભરતી વખતે આધારકાર્ડમાં ભૂલ હોય તો તેને સુધારવા માટે નવા ફોર્મેટનો દાખલો માગવામાં આવે છે. પાસપોર્ટની અરજીમાં પણ આધાર અનિવાર્ય હોવાથી, નવા દાખલા વગર બાળકો વિદેશ જઈ શકતા નહોતા. હવે ડેટા ટ્રાન્સફર થતા અટકેલા કામો પૂરા થઈ શકશે. લોકલ પોર્ટલ ડેટા ટ્રાન્સફર પ્રક્રિયા શરૂરાજ્ય સરકારના ઈ-પોર્ટલ પર નોંધાયેલ 2019થી 2025 સુધીના તમામ ડેટા કેન્દ્ર સરકારના CRS પોર્ટલમાં ટ્રાન્સફર કરાયા છે. હવે કોર્પોરેશનના લોકલ પોર્ટલ પરથી CRS પોર્ટલ પર ડેટા ટ્રાન્સફરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે ટૂંક સમયમાં પૂરી થઈ જશે તેમ તંત્રએ જણાવ્યું છે. 2020 પછીના બાળકોના દાખલા મળી શકશેજન્મ-મરણ શાખાના સૂત્રો મુજબ કેન્દ્રના પોર્ટલ પર જૂના ડેટા તબદીલ કરવાની કાર્યવાહી ઝડપી બનાવી 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે 2020 પછીના બાળકોના નવા ફોર્મેટ મુજબના દાખલા મળી શકશે, જેનાથી નાગરિકોને આધારકાર્ડની કામગીરીમાં સરળતા રહેશે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે 18 એપ્રિલના રોજ રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો હતો. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠીયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં બંને પક્ષના નેતા પહેલા તો એકબીજાને ગળે મળ્યા હતા. બાદમાં મામલો બિચક્યો હતો અને બંને ઉમેદવારોએ એકબીજા પ્રત્યે તોછડી ભાષાનો પ્રયોગ કર્યો અને બંનેએ એકબીજાને થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચીમકીઓ પણ આપી હતી. આભા દેસાઈએ રાજીનામા મુદ્દે સ્પષ્ટતા કરીઆ ઉપરાંત રાજકોટ વોર્ડ 10ના કોંગ્રેસ ઉમેદવાર આભા દેસાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર વાયુ વેગે સોશિયલ મીડિયામાં ફેલાયા હતા, ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરતા ખુદ આભા દેસાઈએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષ સાથે જ છું અને હાલ માર વિસ્તારમાં પ્રચાર કરી રહી છું. મેં રાજીનામું આપ્યું આ માત્ર અફવા છે. ‘અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?’સુરતમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જ્યારે પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો? સુરતમાં હવે AI વોટ અપાવશેહવે AI વોટ અપાવશે. કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ તે નક્કી કરશે. આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી PSI કેડરની 858 જગ્યા માટે આજે રાજ્યના ચાર શહેરોમાં લેખિત પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષાગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (બિન હથિયારી પો.સ.ઇ, હથિયારી પો.સ.ઇ.(પ્લાટુન કમાન્ડર) તથા જેલર ગૃપ-ર) ની કુલ-858 જગ્યાઓ માટેની શારીરિક કસોટી તા.21 જાન્યુઆરી, 2026 થી તા.9 ફેબ્રુઆરી, 2026દરમિયાન યોજવામાં આવેલ હતી. શારીરિક કસોટીમાં 2.47 લાખ જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલ, જે પૈકી ઉત્તીર્ણ થયેલ કુલ-1,10,680 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજેઅમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની કૂલ 371 શાળાઓમાં યોજાશે. ગેરરીતિ અટકાવવા લોખંડી બંદોબસ્ત ગોઠવાયોઆ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટે 4000 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા 8000 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી/ કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવેલ છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI/PSI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવેલ છે. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવનાર છે તથા Facial recognition technologyનો ઉપયોગ કરવામાં આવનાર છે.પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, કરાઈ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવનાર છે અને સમગ્ર પરીક્ષા CCTV મોનીટરીંગ હેઠળ યોજવામાં આવનાર છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિરૂધ્ધ કાયદેસર યોગ્ય પગલાં ભરવામાં આવશે. ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાઅમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ ખાતેની આ લેખિત પરીક્ષા સબંધિત પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ IGP/DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્રારા પુર્ણ કરવામાં આવેલ છે. ઉમેદવારોને કોઇ મદદની જરૂરીયાત હોય તો હેલ્પ નંબર 8160880331, 8160853877, 8160809253 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં ડંકો વગાડતા સુરત શહેરમાં ફરી એકવાર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, શું વાસ્તવિકતામાં જમીની સ્તર પર સ્થિતિ બદલાઈ છે? આ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વોર્ડ નં. 20 (ખટોદરા, મજુરા, સગરામપુરા)નો ગ્રાઉન્ડ રિઆલિટી જાણવા પહોંચી હતી. જેમાં વોર્ડ નં. 20માં મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય વોર્ડ ઓફિસના ગ્રાઉન્ડમાં જ ચારેતરફ કચરાના ઢગલા ખડકાયેલા છે. જે કચેરીએ લોકોના રોગચાળા સામે રક્ષણ આપવાનું હોય, ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. માનદરવાજા વિસ્તારના લોકો ખુલ્લી ગટરો, ગંદકી અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. 'ચારેય કોર્પોરેટરમાંથી એક પણ જોવા આવતા નથી'સ્થાનિક ચંદુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સમસ્યા અહીંયા આગળ એ છે કે આ વગર ફાલતુની બધી લાઈન ખોદેલી છે અને તેના લીધે અમને પરેશાની થવું પડતું છે કે આ બધા મોહલ્લામાં મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે. વોટ માંગવા માટે આવે છે પણ અહીંયા આગળ કોઈની કોઈ જાહેરાત થતી નથી અને કોઈ આવતું નથી, કોઈ કોર્પોરેશનનું આવતું નથી. ચાર-ચાર કોર્પોરેટર છે પણ ચારેયમાંથી એક પણ જોવા નથી આવતા. પે એન્ડ યુઝ શૌચાલય બન્યું કચરા પેટીઆ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે જાહેર જનતાની સુવિધા માટે પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. પરંતુ જાળવણીના અભાવે આ શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. શૌચાલય બંધ હોવાથી લોકો હવે તેનો ઉપયોગ કચરો નાખવા માટે કરી રહ્યા છે. શૌચાલયની આસપાસ પણ એટલી હદે ગંદકી ફેલાઈ છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે સ્થાનિકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવાનો ભય રહે છે. ખુલ્લી ગટરમાં થોડા સમય પહેલા બે બાળકો પડ્યા હતાસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં આસપાસના લોકો કચરો ફેંકી જાય છે અને અધિકારી પણ કંઈ બોલતા નથી જો અધિકારી કંઈ બોલવા જાય તો લોકો અધિકારી સાથે પણ ઝઘડો કરે છે અને આ કારણે અધિકારીઓ પણ મૌન જેવી રહ્યા છે. અહીં આસપાસ ગટરો પણ ખુલ્લી નજરે પડી રહી છે અને તેમાં અસહ્ય ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે લોકોનું કહેવું છે કે આ ખુલ્લી ગટરમાં થોડા સમય પહેલા બે બાળકો પણ પડ્યા હતા તેમને અમે જ બહાર કાઢ્યા હતા. 'ખુલ્લી ગટરોથી ગંદકી ને મચ્છરોનો ત્રાસ છે'સ્થાનિક ગુલાબભાઈ સૈયદે જણાવ્યું હતું કે, અહીં આ ખુલ્લી ગટરોમાં ખૂબ જ ગંદકી છે મચ્છરોનો પણ એટલો ત્રાસ છે સામેવાળા લોકોએ અરજી કરી તો ગટરના ઢાંકણા નાખી દીધા છે. પરંતુ આ બાજુ હજુ કોઈ ઢાંકણા નાખવામાં આવ્યા નથી. આ અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તો અમે મત પણ આપશું. પરંતુ કોર્પોરેટર કોણ છે તે તો મને ખબર નથી. 'દુનિયાભરની ગંદકી થઈ રહી છે'સ્થાનિક રઈસ શેખ ગુલામે જણાવ્યું હતું કે, સમસ્યા એ છે કે અહીં દુનિયાભરની ગંદકી થઈ રહી છે અને અહીં ખાલી ચૂંટણીના સમયે વોટ માંગવા આવે છે, પણ ગંદકી પર ધ્યાન નથી આપતા. આ અહીં આટલો બધો કચરો પડ્યો છે અહીં કોઈ ધ્યાન નથી આપતું. અને આ શું શૌચાલય બનાવીને રાખ્યું છે? ના આને ચાલુ કર્યું, ના બંધ કર્યું. બનાવીને કંઈ મતલબ નથી. 'વોટ લઈને ચાલ્યા જાય છે, આ ગંદકી પર કોઈ ધ્યાન આપતું નથી'તેને વધુમાં કહ્યું કે, આ શૌચાલય બનાવીને મૂકી દીધું છે. એની અંદર કોઈ સુવિધા જ નથી. આખી ગંદકી કરીને રાખી દીધી છે. અહીંથી બધું ગંદુ પાણી વહે છે, તેના પર એમનું કોઈ ધ્યાન નથી. ખાલી વોટિંગ કરવા માટે કહેવા આવે છે કે વોટિંગ કરી દો, અમને વોટ આપો, અને ખાલી વોટ લઈને ચાલ્યા જાય છે. આ ગંદકી પર કોઈ ધ્યાન નથી આપતું.
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી વહીવટી અને ટેકનિકલ ગૂંચવણોનો આખરે સુખદ અંત આવ્યો છે. કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ પર વર્ષ 2020 પહેલાનો ડેટા ટ્રાન્સફર કરવાની જટિલ પ્રક્રિયા 90 ટકા જેટલી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નિર્ણયથી હવે નવા ક્યૂઆર કોડવાળા ડિજિટલ ફોર્મેટમાં જન્મના દાખલા ઉપલબ્ધ બનશે, જે બધા સરકારી કામકાજ માટે માન્ય ગણાશે. આ દાખલાઓ મળતા થવાથી રાજકોટનાં હજારો વાલીઓને રાહત મળશે. 'ઇન-હાઉસ' સોફ્ટવેર વિરુદ્ધ કેન્દ્રીય પોર્ટલકેન્દ્ર સરકાર દ્વારા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે CRS પોર્ટલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજકોટ મનપા પાસે વર્ષ 1950થી જન્મનો ડેટા પોતાના 'ઇન-હાઉસ' સોફ્ટવેરમાં હતો. નવા નિયમ મુજબ માત્ર CRS પોર્ટલ દ્વારા ઇસ્યુ થયેલા ડિજિટલ પ્રમાણપત્રો જ માન્ય રહેતા હોવાથી, 2020 પહેલાનો ડેટા નવા પોર્ટલ પર ઉપલબ્ધ ન હોવાને કારણે કામગીરી અટકી પડી હતી. નાગરિકો પર થયેલી અસરોઆ ટેકનિકલ ખામીને કારણે હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. UIDAIના સખત નિયમોને કારણે જૂના ફોર્મેટના દાખલા માન્ય ન રહેતા નવા આધાર કાર્ડ કે સુધારાની પ્રક્રિયા અટકી હતી. આયુષ્માન કાર્ડ ન બનવાને કારણે અનેક બાળકો સારવારથી વંચિત રહ્યા હતા, તેમજ બોર્ડની પરીક્ષાના ફોર્મ અને પરદેશ જવા માટે પાસપોર્ટની પ્રક્રિયા પણ અવરોધાઈ હતી. તંત્રની કામગીરી અને ભવિષ્યનું આયોજનજન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, 1992થી ઉપલબ્ધ વિશાળ ડેટાબેઝને કેન્દ્રીય સર્વર સાથે સુસંગત બનાવવો એ મોટો પડકાર હતો. 90 ટકા ડેટા સફળતાપૂર્વક માઈગ્રેટ થઈ ગયો છે. આરોગ્ય અધિકારીના યુઝર આઈડીના ટેકનિકલ અવરોધો દૂર કરાયા છે, જેથી મુખ્ય કચેરીએ લાગતી લાંબી લાઈનો ઘટશે. બાકી રહેલો 10 ટકા ડેટા વહેલી તકે પૂર્ણ કરી નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન ડિજિટલ પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ વર્ષે ચોમાસું ચિંતા કરાવે તો નવાઇ ન પામતા. ભારતીય હવામાન વિભાગનો અંદાજ છે કે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. દેશમાં લગભગ સરેરાશ 80 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. છેલ્લા 8 વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે હવામાન વિભાગે સામાન્ય કરતાં ઓછા વરસાદનો અંદાજ લગાવ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસશે કે પછી અલનીનોનો પ્રકોપ રાજ્યને કોરું ધાકોર રાખશે? આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે દર વર્ષની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ચોમાસાનાં 4 મહિના કેવા રહેશે? શું ચોમાસું સમયસર ગુજરાતમાં આવશે કે કેમ? જો ચોમાસાની સિસ્ટમ પર એક્સ્ટ્રીમ અલનીનોની અસર થશે તો દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થશે? આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 5 ઝોનમાં પડેલા વરસાદના ડેટાનું એનાલિસિસિ કર્યું છે. સાથે જ આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડૉ. મેહુલ વાસાણી સાથે વાતચીત કરી છે. સામાન્યથી વધુ વરસાદછેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો 2021ને બાદ કરતાં રાજ્યમાં સરેરાશ સામાન્યથી વધુ વરસાદ પડ્યો છે. 2024માં સરેરાશ 137% વરસાદ પડ્યો હતો. ઝોનવાઇઝ જોઇએ તો આખા રાજ્યમાં છેલ્લા 4 વર્ષથી કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાત માટે ખતરાની ઘંટડીઆ વખતે ગુજરાતમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડશે તે પૂછતાં ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, કોઇ ચોક્કસ વિસ્તાર પ્રમાણે વરસાદની આગાહી કરવી મુશ્કેલ છે. છતાં અલનીનોની અસરના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો 880 મિલિમીટર જેટલો વરસાદ પડી શકે છે. જે સામાન્ય વરસાદ ગણાય. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સામાન્ય થવાની સંભાવના છે. જ્યારે કે ઉત્તર ગુજરાત જેવા ભાગમાં કદાચ અલનીનોની અસરના કારણે સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે, ગુજરાતના છેલ્લા 5 વર્ષમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો મોટાભાગે તેના સરેરાશ કરતાં પણ વધારે જ વરસાદ નોંધાયો છે. દરિયાકાંઠાના જિલ્લાઓની શું સ્થિતિ?સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે. ડૉ.વાસાણીના મતે, ગુજરાતને સામાન્ય રીતે કચ્છ ઝોન, ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન એમ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પણ કોસ્ટલ બેલ્ટના કચ્છ અને પશ્ચિમના પોરબંદર, દ્વારકા જેવા જિલ્લાઓમાં છેલ્લા 5 વર્ષોમાં જેટલો વરસાદ પડવો જોઇતો હતો તેના કરતાં પણ લગભગ 25% જેટલો વધુ વરસાદ પડ્યો છે. આવી જ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ જોવા મળી છે. દર વર્ષે વરસાદમાં વધારોવરસાદમાં ઘટાડો નથી થતો પણ સતત દર વર્ષે વધારો નોંધાઇ રહ્યો છે. આ અંગે તેઓ કહે છે કે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાય છે. જેને હેવી રેઇનફોલ ઝોન તરીકે પણ ઓળખાય છે. અહીં સામાન્ય રીતે વધારે જ વરસાદ પડે છે પણ છેલ્લા 5 વર્ષમાં એવો એક પણ જિલ્લો નથી કે જ્યાં વરસાદમાં મોટો ઘટાડો નોંધાયો હોય. એવું ચોક્કસ જોવા મળ્યું છે કે વરસાદના પ્રમાણમાં વધારો નોંધાયો હોય. આમ ચોમાસાને લઇને જે મુખ્ય બાબત સામે આવી છે તે એ છે કે વરસાદમાં ઘટાડો નથી નોંધાતો પણ સતત દર વર્ષે વધારો નોંધાઇ રહ્યો છે. પાછોતરો વરસાદ ચિંતા કરાવશેપાછોતરા ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આનું કારણ જણાવતા તેમણે કહ્યું, દર વર્ષની સરખામણીએ આ વખતે સામુદ્રીક અને અન્ય પરિસ્થિતિને જોતા ન્યૂટ્રલ કન્ડિશન ચાલી રહી છે. જેથી એવું કહી શકાય કે હાલના તબક્કે ચોમાસા પર કોઇ ખાસ અસર થશે નહીં. ચોમાસું એકંદરે સામાન્ય રહેશે. મધ્ય પેસિફિક સમુદ્રમાં ઓગસ્ટ કે જુલાઇ પછી ઇવોલ્વિંગ અલનીનો થવાની શક્યતાઓ છે. જેથી પાછોતરા ચોમાસામાં કદાચ સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય ફેરફારની શક્યતાતેમના મતે, આ વખતે ચોમાસામાં સામાન્ય ફેરફાર આવી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 થી 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશ કરતું હોય છે. હાલની દ્રષ્ટિએ આ વખતના ચોમાસામાં સામાન્ય ફેરફાર આવી શકે છે બાકી કોઇ ચિંતા જેવો વિષય નથી પણ જો પ્રિ મોન્સૂન સિઝન દરમિયાન ચક્રવાત જેવી સ્થિતિનું સર્જન થાય તો તેમાં ફેરફાર થવાની શક્યતાઓ પ્રબળ છે. આગામી સમયમાં તાપમાનમાં વધારો થશેકેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે આ વખતે ચોમાસામાં ગરમીનો પણ અનુભવ થઇ શકે છે. બીજી તરફ ચોમાસાના દિવસોમાં પણ ઘટાડો થઇ શકે છે આ બાબતે તમારું શું માનવું છે એ અંગે પૂછતાં ડૉ. વાસાણીએ કહ્યું,એ હકીકત છે કે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કેમ કે આ વખતે માર્ચથી જ ગરમીએ પ્રકોપ દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. જે રીતે વચ્ચે વચ્ચે માવઠાઓ આવ્યાં તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. એપ્રિલની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. હાલમાં તાપમાનમાં વધારો દેખાતો નથી પણ આવનારા સમયમાં વધારો જોવા મળી શકે છે. ચોમાસાના દિવસો ઘટ્યા, વરસાદનું પ્રમાણ વધ્યુંજો કે ચોમાસા દરમિયાન ઊડીને આંખે વળગે તેવી એક વાત એ પણ છે કે ચોમાસાના દિવસો ભલે ઘટી રહ્યાં હોય પણ તેની સામે વરસાદનું પ્રમાણ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. હાલમાં જોઇએ તો એવું થાય છે કે કોઇક જગ્યાએ એક ધારો દસેક ઇંચ વરસાદ પડી જાય. જેના પછી થોડો સમય ડ્રાય સ્પેલ આવે એવી પરિસ્થિતિ ફ્રિકવન્ટલી જોવા મળે છે. તેઓ કહે છે કે, આ પાછળ અન્ય કારણો પણ જવાબદાર છે પણ મુખ્ય કારણ તો ગ્લોબલ વોર્મિંગ જ છે. આ સાથે જ લો પ્રેશર, ચક્રવાતો અને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ પણ વધી રહ્યાં છે. શરૂઆતના તબક્કામાં અલનીનોની ઓછી અસરકયા કારણોસર ચોમાસું નબળું પડે છે તેની વાત કરતા તેઓ કહે છે કે, પ્રશાંત મહાસાગરમાં નીનો 3.4 વિસ્તાર છે ત્યાંની દરિયાઇ સપાટીનું તાપમાન સરેરાશ 0.5 ડિગ્રી કરતાં વધારે હોય ત્યારે અલનીનો પરિસ્થિતિ કહેવાય છે. પ્રશાંત મહાસાગરથી ભેજનું જે પ્રમાણ મળતું હોય છે તે ઘટે છે. આવી પરિસ્થિતિમાં વરસાદ લાવવા માટે જે પૂરતો ભેજ હોય તે ઓછો હોવાના કારણે ચોમાસું નબળું જોવા મળે છે. પણ અલનીનોની પરિસ્થિતિ શરૂઆતના ચોમાસાને અસર નથી કરતી. જેથી જે વરસાદ છે તે સામાન્ય થતો જોવા મળે છે પણ અમુક પરિબળો તેને નેગેટિવ અસર કરે તો તે ચોમાસાને નબળું પાડતાં હોય છે. એટલે હાલની દ્રષ્ટિએ અલનીનોની અસર શરૂઆતના તબક્કે ઓછી દેખાઇ રહી છે. '0.5 ડિગ્રી તાપમાન કરતાં વધુ તાપમાન પ્રશાંત મહાસાગરમાં નોંધાય છે ત્યારે અલનીનોની પરિસ્થિતિ સર્જાય છે પણ આ તાપમાન સામાન્ય કરતાં દોઢ થી બે ડિગ્રી વધી જાય છે ત્યારે તેને એક્સ્ટ્રીમ અલનીનો કહેવાય છે. આવી પરિસ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયામાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે પણ મારી દ્રષ્ટિએ આવું ચાલુ ચોમાસા દરમિયાન થાય તેની શક્યતાઓ નહીંવત છે.' સુપર અલનીનોમાં તાપમાન 2 ડિગ્રી વધે છેથોડા દિવસો પહેલાં વિશ્વના હવામાનશાસ્ત્રીઓએ આ વખતે સુપર અલ નીનો (એક્સ્ટ્રીમ અલ નીનો)ની આશંકા વ્યક્ત કરી હતી. સુપર અલનીનો દુર્લભ છે. તે ત્યારે બને છે જ્યારે સમુદ્ર સપાટીનું તાપમાન ઓછામાં ઓછું 2 ડિગ્રી સેલ્સિયસ વધે છે. 1950 પછી આવું ભાગ્યે જ બન્યું છે. ફક્ત એક જ વાર તાપમાનમાં 2.5 ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થયો છે. અગાઉ 2015 માં, સુપર અલ નીનોએ વૈશ્વિક સ્તરે ગંભીર અસરો કરી હતી. આ ઘટનાએ ઇથોપિયામાં ગંભીર દુષ્કાળ અને પ્યુઅર્ટો રિકોમાં પાણીની કટોકટી ઊભી કરી હતી. મધ્ય ઉત્તર પેસિફિકમાં અત્યંત સક્રિય વાવાઝોડાની મોસમે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગુજરાતના ચોમાસા પર સુપર અલનીનોની કોઇ અસર નહીં થાયડૉ. વાસાણી જણાવે છે કે,એક્સ્ટ્રીમ અલ નીનોની સંભાવના પાછોતરા ચોમાસામાં થઇ શકે છે. એક્સ્ટ્રીમ અલ નીનો એકી સાથે જ નિર્માણ નથી પામતું. જ્યારે તે શરૂઆતના તબક્કામાં હોય તો તેને ઇવોલ્વિંગ અલનીનો કહેવાય છે. આની અસર ચોમાસામાં ઓછી જોવા મળે છે. જ્યારે 2026ના અંતમાં એક્સ્ટ્રીમ અલનીનો જોવા મળશે એટલે ચોમાસા પર તેની અસર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. સામાન્ય રીતે અલ નીનો ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અને મધ્ય આફ્રિકા, ભારત અને દક્ષિણ અમેરિકાના ભાગોમાં દુષ્કાળ અને ભારે ગરમીનું કારણ બને છે. બીજી બાજુ દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સ, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ-મધ્ય એશિયામાં પૂરનું કારણ પણ બની શકે છે. સુપર અલનીનોથી દુષ્કાળ પડી શકેતેમણે કહ્યું, સુપર અલનીનોની પરિસ્થિતિમાં વર્ષ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું નોંધાય છે. ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય તો દુષ્કાળ કે સામાન્ય કરતાં ઓછો વરસાદ આવે છે. આ ઉપરાંત ચક્રવાત અને વાવાઝોડા પણ અનસ્ટેબલ જોવા મળતા હોય છે. તાપમાન જેટલું વધશે અલનીનોની અસર એટલી જ તીવ્ર બનશે. યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ વર્ષે પાનખર અથવા શિયાળા સુધીમાં આવી સુપર અલ નીનો ઘટના બનવાની 25% શક્યતા છે. જો કે તેઓ ચેતવણી આપે છે કે વસંત ઋતુ દરમિયાન કરવામાં આવતી આગાહીઓ ઘણીવાર અસ્પષ્ટ હોય છે. આમ, શરૂઆતના તબક્કે ગુજરાતમાં બહુ મોટી ચિંતાની જરૂર નથી પરંતુ પાછોતરા ચોમાસામાં એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર બાદ વરસાદ ખેંચાઇ શકે છે.
સવારે અને બપોરે એમ બેવાર જાગતું રાજકોટ, ઈતિહાસથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી આગળ વધ્યું છે. હવે 26 એપ્રિલે મતદારો માટે મોકો છે, ભવિષ્યનું શહેર કેવી દિશામાં જશે તે નક્કી કરવાનો. ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયોમાં જુઓ માસૂમાબાદથી એઈમ્સ સુધીની સફર અને અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે જાગૃત જનતાની અપેક્ષાઓ.
ફોટો ઈન્વેસ્ટિગેશન:કોટેચા ચોકથી BAPS સુધીનો મોતનો માર્ગ
કાલાવડ રોડ પર કોટેચા ચોકથી બીએપીએસ મંદિર સુધી ડામરકામ કર્યું છે. જોકે ડામરકામને કારણે રસ્તો ઊંચો થતા ફૂટપાથ પાસેના ભાગમાં જ કડ પડી ગઈ છે. વાહનચાલકો ખાસ કરીને ટૂ વ્હિલર ચાલકોને આ કડ દેખાતી નથી. જેને કારણે બાઈક સ્લિપ થઈ જતા અકસ્માત સર્જાય છે. એક બે નહિ રોજ ચારથી પાંચ અકસ્માતની ઘટના બની રહી છે. જેનાથી કંટાળી વેપારીઓએ પણ અવારનવાર પોલીસ અને મનપાને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. બ્યુટીફિકેશન કરવાનું હોવાથી કામ બાકી છે. આ કામ બાકીમાં અનેકના જીવ જોખમમાં મુકાયા છે. મનપાને અવારનવાર કીધું, પોલીસને ફક્ત પાર્કિંગના દંડમાં રસમનપા અને પોલીસને અવારનવાર કહ્યું છે કે, અહીં અકસ્માત થઈ રહ્યા છે પણ કોઇ ધ્યાન આપતું નથી. પોલીસને નો-પાર્કિંગમાં પડેલા વાહનોને દંડવામાં રસ છે. જેથી અમારા વેપાર ધંધાને અસર પડે છે. કારણ કે પાર્કિંગ નહીં રખાતા કોઇ આવતું જ નથી. > દીપક જોશી, વેપારી કાલાવડ રોડ અપકૃત્યના કાયદા હેઠળ વળતરનો કેસ થઇ શકેજો કોઇ વ્યક્તિ આવા રોડને કારણે અકસ્માતગ્રસ્ત બને તો તે વળતરનો દાવો કરી શકે છે. સામાન્ય ઈજાથી ગંભીર ઈજા તેમજ મોતના કિસ્સામાં વળતર મળવા હક્કદાર બને છે. ખાસ કરીને આવા કેસ લો ઓફ ટોર્ટ એટલે કે અપકૃત્ય કરવાથી થયેલા ડેમેજ હેઠળ વળતર મળે છે. - અજય જોશી, એડવોકેટ
વ્યાજમાફી યોજના:નવા મિલકતવેરા બિલમાં 15 દિવસનો નિયમ પાછલા બારણે અમલી કરાયો
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી આકારણીમાં બાકી રહી ગયેલી મિલકતો માટે વ્યાજમાફીની યોજનામાં નવા નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નવા વેરાબિલમાં આ સુધારો કરી વ્યાજમાફી યોજના તો ચાલુ રાખવામાં આવી છે, પરંતુ તેમાં 15 દિવસની સમયમર્યાદાનો કડક નિયમ લાગુ કરી દેવાયો છે. લોકોને આ નવા નિયમની યોગ્ય જાણકારી ન હોવાથી અનેક કરદાતાઓ આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી ગયા છે અને પરિણામે તેઓએ વર્ષોનું ચડત વ્યાજ ભરવા મજબૂર બનવું પડી રહ્યું છે. મનપાના વેરા વિભાગના ચોપડે આજ સુધી જે મિલકતોની નોંધણી થઈ નથી, તેવી મિલકતોના કરોડો રૂપિયાના વેરાની વસૂલાત માટે તંત્રએ આ આયોજન કર્યું છે. જે આસામીઓને આજ સુધી ક્યારેય વેરાબિલ મળ્યું જ નથી, તેઓ માટે વ્યાજમાફી યોજનામાં શરત મૂકવામાં આવી છે કે, મિલકતધારકે પોતાનું બિલ નીકળ્યાના માત્ર 15 દિવસની અંદર જ અરજી કરવાની રહેશે. જો આ નિર્ધારિત સમયમાં અરજી કરીને વેરો ભરપાઈ કરવામાં આવે તો જ વ્યાજમાંથી મુક્તિ મળશે, અન્યથા તોતિંગ વ્યાજની રકમ ભરવી પડશે.રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2011થી કાર્પેટ એરિયા આધારિત વેરા પદ્ધતિ અમલમાં આવી હતી. તે સમયે શહેરની અંદાજે 4.70 લાખથી વધુ મિલકતોના સરવેનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જોકે, આ સરવે દરમિયાન એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં બંધ મિલકતોને સરવેમાંથી બાકાત રાખી દેવામાં આવી હતી, તો કેટલીક મિલકતોની માપણીમાં કૌભાંડો પણ સામે આવ્યા હતા. આ ભૂલને કારણે હજારો મિલકતો મનપાના રેકોર્ડ પર ચડી શકી નહોતી. જે મિલકતધારકોને ખબર હતી કે, તેમની મિલકત નોંધાઈ નથી, તેઓ પણ વર્ષોનું ચડત વ્યાજ ભરવું પડશે તેવા ડરથી સામે ચાલીને બિલ કઢાવવા માટે કચેરીએ આવતા નહોતા. પરિણામે મનપાને દર વર્ષે કરોડો રૂપિયાની આવકનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. મુખ્ય સમસ્યા એજન્સીની માપણીમાં રહી ગયેલી મિલકતો નવો નિયમ બિલ જનરેટ થયાના 15 દિવસમાં અરજી ફરજિયાતવ્યાજ માફીની પાત્રતા માત્ર નવી આકરાણી થતી હોય તેવી મિલકતો માટેસુષુપ્ત મિલકતો જૂની એન્ટ્રી ધરાવતા ધારકોએ વ્યાજ ભરવું પડશે જૂની એન્ટ્રી ધરાવતા આસામીઓને વ્યાજમુક્તિનો લાભ નહીં મળેમનપાએ સ્પષ્ટતા કરી છે કે, જે મિલકતોની વર્ષો પહેલા વેરા વિભાગમાં નોંધણી (મેન્યુઅલ એન્ટ્રી) થઈ ચૂકી હતી, પરંતુ 2011 પછી તેની કાર્પેટ એરિયા મુજબ માપણી થઈ નથી તેવી ‘સુષુપ્ત’ મિલકતોને આ વ્યાજમાફીનો લાભ મળશે નહીં. આવી મિલકતોએ જૂની એન્ટ્રી મુજબનો બાકીવેરો અને તેના પર ચડેલું વ્યાજ બંને ભરવા પાત્ર રહેશે. માત્ર એવી જ મિલકતો કે જેનો મનપાના રેકોર્ડમાં કોઈ જ ઉલ્લેખ નથી, તેમને જ આ નવી સ્કીમનો લાભ મળી શકશે. અસરકારક કામગીરી માટે સ્ટાફ જ નથી, બધા પાસે ટેબલ વર્કવેરા વિભાગની કામગીરીમાં સ્ટાફની અછત પણ એક મોટું કારણ છે. સ્ટાફ ઓછો હોવાને કારણે બાકીદારો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ શકતી નથી. જેનો સીધો ફાયદો એવા આસામીઓને મળી રહ્યો છે જેમની મિલકતો વર્ષોથી અનરજિસ્ટર્ડ છે. હવે જ્યારે તંત્રએ વ્યાજ માફીની જાહેરાત કરી છે, ત્યારે ટેક્નિકલ નિયમોને કારણે સામાન્ય નાગરિકો મૂંઝવણમાં મુકાયા છે. નિયમ મુજબ જો કોઈ મિલકતની અગાઉ આકારણી થઈ જ નથી, તો આકારણી વખતે માત્ર મૂળ વેરો જ લેવાનો હોય છે, પરંતુ વ્યાજની ગણતરીમાં થતા ફેરફારોને કારણે લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. 2011 પહેલાની જૂની મિલકતોના કિસ્સામાં પણ વેરા વિભાગ કાર્પેટ એરિયા લાગુ પડ્યો ત્યાં સુધીનું નવા નિયમ મુજબનું અને બાકીના વર્ષોનું લમછમ બિલ બનાવીને આપશે, જેમાં શરત મુજબ વ્યાજ લગાડવામાં આવશે નહીં.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ માર્ગની અસ્થિરતાની સીધી અસર સ્થાનિક બજાર પર પડી રહી છે. દેશમાં ગેસની અછતનું બહાનું ધરીને ખાનગી ગેસ એજન્સીઓએ ઉઘાડી લૂંટ ચલાવવાના દરવાજા ખોલી નાખ્યા છે. માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ બમણાથી ત્રણ ગણા કરી દેવામાં આવતા હોટલ, રેસ્ટોરન્ટ અને નાની રેંકડી ચલાવતા ધંધાર્થીઓમાં ભારે હડકંપ મચી ગયો છે. ગેસના આ તોતિંગ ભાવવધારા અને ખાદ્યતેલોમાં આવેલા ભડકાને કારણે હવે ખાણીપીણીનો વ્યવસાય ચલાવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે સરકારના નિયંત્રણ હેઠળની PSU (જાહેર ક્ષેત્રની) ગેસ કંપનીઓ અને ખાનગી એજન્સીઓના ભાવમાં જમીન-આસમાનનો ફેર છે. ડિસેમ્બર-2025માં ભારત ગેસ અને IOC જેવી સરકારી કંપનીઓના કોમર્શિયલ સિલિન્ડર રૂ. 1580થી 1600ની આસપાસ હતા. એપ્રિલમાં બે વખત વધારો ઝીંકીને આ ભાવ રૂ. 2068 સુધી પહોંચાડાયા છે. પરંતુ, તેની સામેખાનગી એજન્સીઓએ તો ખુલ્લેઆમ લૂંટ જ મચાવી છે.માર્ચ મહિનામાં રાધિકા ગેસ એજન્સીનો 21 કિલોનો સિલિન્ડર રૂ. 2200માં મળતો હતો, જેનો ભાવ એપ્રિલમાં સીધો ડબલ થઈને રૂ. 4400ને પાર થઈ ગયો છે. મેટોડાની એપેક્સ કંપનીનો સિલિન્ડર રૂ. 1900-2000થી વધારીને રૂ. 4000 કરી દેવાયો છે. જ્યારે એજીસ (Aegis) ગેસ પ્રા.લિ.ના 21 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ તો સાંભળીને જ આંખો પહોળી થઈ જાય તેમ રૂ. 6192.77ની ઐતિહાસિક સપાટીને આંબી ગયો છે! ‘ખાનગી કંપનીઓ ભાવ નક્કી કરવા સ્વતંત્ર, અમારું કોઈ નિયંત્રણ નથી’ - DSOરાજકોટ DSOના જણાવ્યા મુજબ, ‘ભારત સરકાર માત્ર ભારત ગેસ જેવી PSU કંપનીઓના ભાવ જ નક્કી કરે છે અને તેના પર જ નિયંત્રણ છે. જ્યારે ખાનગી કંપનીઓ પોતાના ઉત્પાદિત ગેસના સિલિન્ડર કયા ભાવે વેચવા તે નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. જો ખાનગી કંપનીએ નક્કી કરેલા MRP કરતાં કોઈ વ્યક્તિ વધુ ભાવ લેતો હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે. બાકી ખાનગી કંપનીઓના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નિયંત્રિત કરવાની સરકારે અમને કોઈ સત્તા આપી નથી.’ ‘નાછૂટકે તમામ આઈટમના ભાવ 10થી 20 ટકા વધારવા પડ્યા’આકાશદીપ રેસ્ટોરન્ટના ધર્મેશ ઠાકોરના જણાવ્યા અનુસાર, ‘કોમર્શિયલ ગેસના આસમાને પહોંચેલા ભાવને કારણે અમારે નાછૂટકે તમામ ચીજવસ્તુઓના ભાવ વધારવા પડ્યા છે. અગાઉ 50 રૂપિયામાં મળતી શાકની ડિશ 60 રૂપિયા, 15 રૂપિયાનું પરોઠું 17 રૂપિયા અને 50 રૂપિયાવાળી દાળ-ભાતની ડિશના 60 રૂપિયા કરવા પડ્યા છે. જો હજુ ગેસના ભાવ વધશે તો અમારે ગ્રાહકો પર જ આ ભારણ નાખવું પડશે.’ ‘એનર્જી કોસ્ટ બમણી થઈ ગઈ, મોંઘા ભાવે પણ સમયસર ગેસ મળતો નથી’ટી સ્ટ્રીટના મેઘાવત રાઠોડે આ અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અગાઉ ખાણીપીણીના ધંધામાં રૂ. 100ના વેચાણ પર 4થી 5 ટકા એનર્જી કોસ્ટ આવતી હતી, જે હવે ખાનગી કંપનીઓની લૂંટના કારણે 10 ટકા સુધી પહોંચી ગઈ છે. આટલા ઉંચા ભાવ આપવા છતાં સમયસર ગેસ મળતો નથી. માર્ચમાં સિલિન્ડર આપ્યા બાદ છેક સવા મહિને અમને સિલિન્ડર અપાયા હતા. આ પરિસ્થિતિ હોટલ ઉદ્યોગ માટે માઠા દિવસો લાવી રહી છે.’
હુમલો:વોટ્સએપ મેસેજના મનદુઃખથી 2 ભાઈ પર પાઇપ, લાકડી વડે હુમલો
ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામના 30 વર્ષીય અલ્તાફભાઈ ઈકબાલભાઈ સમાની ફરિયાદ મુજબ, ગામની પ્રાથમિક શાળાના આચાર્યે મેદાનમાં છોકરાઓને રમવા પર પ્રતિબંધ મૂકતો મેસેજ કર્યો હતો. આ મેસેજ અલ્તાફના ભાઈ આવેશએ ગ્રામ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી સાહીદ ગફારભાઈ સમાએ ફોન પર ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ શુક્રવારે સાંજના સાહીદ ગફાર, નુરમહમદ હસનભાઈ, મુસા ઈબ્રાહીમભાઈ વિશળ અને સમીર ગફારભાઈ સમા લાકડી તથા પ્લાસ્ટિકના પાઇપ સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા. શખ્સોએ અલ્તાફ અને આવેશ પર હુમલો કરી માથાના ભાગે પાઇપના ફટકા માર્યા હતા તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ધમકી આપી નાસી ગયા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓને સારવાર અર્થે ભેંસાણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ આધારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીના રિમાન્ડ કરાયા મંજૂર:ડુંગરપુરના યુવકની હત્યા કરનાર આરોપીઓ આજે સાંજ સુધી રિમાન્ડ
ડુંગરપુર ગામે રહેતા રફીકશા કરીમશા રફાઈ નામના યુવકની હત્યા સબબ મૃતકના પત્ની નજમાબેને ખડીયાના મિલન સોલંકી અને તોરણીયાના અનિલ ગુજરાતી સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર તેના ઘરે બંને શખ્સ ગુરુવારે રાત્રે આવ્યા હતા અને પતિને ચલમનો માલ હોય તો આપવાનું કહ્યું હતું. પરંતુ માલ નથી તેમ કહેતા માલ લેવા જવા સાથે લઈ ગયા હતા. ત્યારબાદ જંગલ વિસ્તારમાં રફીકશા પર માથા અને હાથ પગના ભાગે ઇજાઓ કરી મૃત્યુ નીપજાવ્યું હતું. ફરિયાદ આધારે આરોપીઓ સાગર પૂર્વે મિલન સોલંકી, અનિલ ઉર્ફે પ્રિન્સ ગુજરાતીની ધરપકડ કરી હતી અને બંને પાસેથી હત્યા માટે ઉપયોગમાં લીધેલ લોખંડનો સળીયો કબજે કર્યો હતો. શુક્રવારે આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શહેરમાં વિવિધ એકમો પનીરના નામે એનાલોગ નાગરિકોને ખવડાવતા હોવાની ફરિયાદો બાદ મ્યુનિ. આરોગ્ય વિભાગે શરૂ કરેલી તપાસમાં 11 એકમ પકડાયા છે. જેમાંથી મોટા ભાગના મણિનગર, બાપુનગર, રિલીફ રોડ રામોલ સહિતના પૂર્વ વિસ્તારોના તથા એક ગોતા વિસ્તારની હોટેલ છે. આ તમામની સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા નિયમોનું પાલન ન કરનારા એકમોને રૂ. 3.26 લાખનો દંડ ફટકારાયો છે. આ તમામ એકમોને નોટિસ અપાઈ છે. જે 11 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં પનીરના નામે એનાલોગ એટલે કે બનાવટી પનીરની ડિશ રૂ.350થી વધુ કિંમતમાં મળતી હતી. ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતા પોર્ટલ પર ગોતાની હોટેલ ગામઠીમાં પનીર મલાઈ ટિક્કાના છ નંગના રૂ.390 બતાવાયા છે. એ જ રીતે બાપુનગરના શ્રીનાથજી ભોજનાલયમાં રૂ.150માં પનીર ભુરજી વેચાતી હોવાનું જણાયું હતું. આ એકમોને દંડ થયો ભાસ્કર નોલેજ | પનીર-એનાલોગમાં તફાવત?બનાવટ: પનીર શુદ્ધ દૂધમાંથી બને છે, જ્યારે એનાલોગ બનાવવા દૂધને બદલે સ્કિમ્ડ મિલ્ક પાઉડર, પામ ઓઇલ અને સ્ટાર્ચનો ઉપયોગ થાય છે. તે દેખાવમાં પનીર જેવું જ હોય છે. કેવી રીતે ઓળખી શકાય? એક અઠવાડિયામાં 250 સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયાંછેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ. દ્વારા વિવિધ વસ્તુઓના 250 નમૂના લઈને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે તેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી આગળ વધારાશે. રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈફૂડ સિક્યોરિટી એક્સપર્ટ અને એડવોકેટ મનોજ ખંધારના જણાવ્યાનુસાર, જો એનાલોગ હોવાનું સાબિત થાય તો સબસ્ટાર્ન્ડડ એક્ટ હેઠળ 5 લાખ સુધી દંડની જોગવાઈ છે. કેસની સુનાવણી પછી સેક્શન 51 હેઠળ સજા થાય છે.
19 એપ્રિલે ‘વર્લ્ડ લિવર ડે’ નિમિત્તે લિવરના રોગો અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સામાન્ય રીતે કમળો, આલ્કોહોલ અને જંકફૂડને જ લિવર માટે જોખમી માનવામાં આવે છે, પરંતુ કૂતરા સહિતના પાલતુ પ્રાણીઓના મળના સંપર્કથી થતો ‘લિવર હાઇડેટિડ સીસ્ટ’ રોગ પણ લિવરને ગંભીર નુકસાન કરી શકે છે. સ્વચ્છતાના અભાવે પાલતુ પશુઓના સંપર્કમાં રહેતા દર 1 લાખમાંથી 1થી 200 લોકોને આ ચેપ લાગે છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 70 ટકા અને શહેરોમાં 30 ટકા અસર જોવા મળે છે. સિનિયર ગેસ્ટ્રો સર્જન ડો. અવિનાશ ટાંક જણાવે છે કે, અવેરનેસના અભાવે આ રોગનું નિદાન છેલ્લા સ્ટેજમાં થાય છે. જ્યારે લિવરમાં સિસ્ટ મોટી થઈ જાય કે પિત્ત નળીમાં કાણું પડે ત્યારે 1થી 4 કલાકની જટિલ સર્જરી કરીને લિવરનો અસરગ્રસ્ત ભાગ કાઢવો પડે છે. લિવરની સર્જરી હાઈરિસ્ક હોવાથી નિષ્ણાત સર્જન અનિવાર્ય છે, કારણ કે સર્જરી દરમિયાન જો સિસ્ટ પેટમાં પ્રસરે તો ફરીથી ચેપ લાગવાનું જોખમ રહે છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે આવા અનેક કેસ નોંધાય છે. આ રીતે પ્રાણીથી માનવીના લિવર સુધી ચેપ ફેલાય છેકૂતરા કે પશુઓના મળમાં રહેલા ટેપવોર્મના ઇંડાં જમીન, પાણી કે શાકભાજી પર ચોંટે છે. પશુઓને સ્પર્શ કર્યા બાદ હાથ ધોયા વગર ખોરાક લેવાથી કે પ્રદૂષિત પાણી પીવાથી આ ઇંડા શરીરમાં પ્રવેશે છે. આંતરડામાંથી બહાર આવી આ ઇંડા ‘લાર્વા’ બની લોહી દ્વારા લિવરમાં પહોંચે છે અને ગાંઠ બનાવે છે. જમતાં પહેલાં સાબુથી હાથ ધોવાકૂતરાઓને નિયમિત ડીવોર્મિંગ કરાવવું, હાથ ધોઈને જ ખાવું, શાકભાજી-ફળ સારી રીતે ધોઈને ખાવું, કાચું કે અડધુ પાકેલું માંસ ખાવાનું ટાળવું, પશુઓ સાથે કામ કરતી વખતે હાઇજીન જાળવવું. આ રીતે નુકસાન કરે છે
ચૂંટણી પ્રચારનું ચિત્ર હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ઉમેદવારો માટે લાઉડસ્પીકર, પોસ્ટર, બેનર અને પત્રિકાઓ જ મુખ્ય હથિયાર હતા. પરંતુ હવે મતદારો સુધી પહોંચવાનો રસ્તો મોબાઇલ સ્ક્રીનમાંથી પસાર થાય છે. સોશ્યલ મીડિયામાં રીલ, પોસ્ટ અને વિડિયો હવે ચૂંટણી પ્રચારનું નવું મેદાન બની ચૂક્યું છે. ત્યારે ચૂંટણી પંચે ઉમેદવારનું ખર્ચનું બજેટ દોઢું કરી આપ્યું છે. લાઉડસ્પીકર અને પત્રિકાઓમાં થતા ખર્ચ કરતા રીલ વધુ મોંઘી હોવાથી ગત ટર્મમાં ઉમેદવારનો ખર્ચનું બજેટ રૂ.6 લાખ હતું તે હવે મનપા ચૂંટણીના ઉમેદવારના બજેટમાં રૂ.3 લાખનો વધારો કરી 9 લાખ રૂપિયા કર્યો છે. હવે મનપાનો ઉમેદવાર રૂ.9 લાખ ખર્ચ કરી શકશે. આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે ચૂંટણી પ્રચારની રીતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યાં ઉમેદવારોનો મુખ્ય પ્રચાર રસ્તાઓ પર લાઉડસ્પીકર, પોસ્ટર, બેનર અને પત્રિકાઓ દ્વારા થતો હતો, જે હવે નહીવત થયો છે અને હવે સોશિયલ મીડિયા અને મોબાઇલ આધારિત પ્રચારનું પ્રભુત્વ વધી ગયું છે. સોશ્યલ મીડિયાના વિવિધ પ્રકારના પ્લેટફોર્મ્સ પર રીલ, પોસ્ટ અને વિડિયો કન્ટેન્ટ દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ વધી રહ્યો છે. આ બદલાવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મનપા ચૂંટણીના ઉમેદવારોના ખર્ચ મર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ ઉમેદવાર માટે નિર્ધારિત ખર્ચ મર્યાદા રૂ.6 લાખ હતી, જે હવે વધારીને રૂ.9 લાખ કરવામાં આવી છે. એટલે કે કુલ રૂ.3 લાખનો વધારો કરવામાં આવ્યો છે. પોરબંદર મનપાની ચૂંટણીમાં 41 બેઠક પર 106 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. આજના સમયમાં ડિજિટલ પ્રચાર પર ખર્ચ સતત વધી રહ્યો છે. પ્રોફેશનલ વિડિયો શૂટિંગ, એડિટિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને રીલ્સના પ્રમોશન માટે નોંધપાત્ર બજેટ જરૂરી બને છે. પરિણામે પરંપરાગત પ્રચાર સાધનો કરતા ડિજિટલ પ્રચાર વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. કેટલો ખર્ચ કરી શકાશે તેની અગાઉ અને હાલની વિગતચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે તે માટે ખર્ચ મર્યાદામાં મનપાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ગત ટર્મમાં રૂ.6 લાખ હતા જે હવે રૂ. 9 લાખ કર્યા છે. એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા વોર્ડના ઉમેદવાર માટે અગાઉ રૂ.1 લાખ હતા જે હવે રૂ.2.25 લાખ કર્યા છે. 9 થી વધુ વર્ડ ધરાવતી પાલિકાના ઉમેદવાર માટે અગાઉ રૂ.1.50 લાખ હતા જે હવે રૂ.3.50 લાખ તેમજ જિલ્લા પંચાયતના દરેક ઉમેદવાર માટે અગાઉ રૂ.4 લાખ હતા જે હવે રૂ.6 લાખ તેમજ તાલુકા પંચાયતના દરેક ઉમેદવાર માટે અગાઉ રૂ.2 લાખ જેમાં હાલ રૂ. 3 લાખ કર્યા છે. આ ઉમેદવારો આ રીતેની મર્યાદામાં ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરી શકશે. નાના અને અપક્ષ ઉમેદવારને હરીફના વધુ ખર્ચ સામે ટકવું મુશ્કેલ બનશેસોશિયલ મીડિયામાં ચૂંટણી પ્રચાર ખર્ચાળ સાબિત થાય છે. આધુનિક ચૂંટણી પ્રચાર માટે સક્ષમ ઉમેદવાર તેના ખર્ચની મર્યાદામાં ખર્ચ કરશે પરંતુ નાનો એટલેકે ખર્ચ ન કરી શકનાર અને અપક્ષ ઉમેદવારને હરીફ ઉમેદવારના વધુ ખર્ચ સામે ટકવું મુશ્કેલ બનશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્રચાર પર કડક વોચસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમવાર સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર પર નજર રાખવા માટે વિશેષ કમિટી બનાવવામાં આવી છે. જેમાં કલેક્ટર અધ્યક્ષ, પોલીસ અધીક્ષક, જિલ્લા માહિતી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર સભ્ય સચિવ રહેશે. આ કમિટી ટીવી, કેબલ નેટવર્ક, રેડિયો, એફએમ, સોશિયલ મીડિયા અને બલ્ક એસએમએસ મારફતે થતા પ્રચાર માટે મંજૂરીની ચકાસણી કરશે. ઉમેદવારોને સક્ષમ અધિકારીનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે અને તમામ ખર્ચ હિસાબમાં નોંધાશે. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવો કે ઉશ્કેરણીજનક પ્રચાર રોકાશે. મતદાન પહેલા 48 કલાક પ્રચાર બંધ રહેશે અને નાયબ મામલતદાર તથા હેડ કોન્સ્ટેબલ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
તંત્રની ઉદાસીનતા સામે વાહનચાલકોમાં રોષ:પોરબંદર-અડવાણા હાઈવે પર બાવળોનો આંતક
પોરબંદરથી અડવાણા નેશનલ હાઈવે પર ગાંડા બાવળોનો વધતો આતંક હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે, છતાં જવાબદાર તંત્ર કાનમાં તેલ નાખી બેઠું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. બાબડા અને ભારવાડા વચ્ચે આવેલા સાંકડા પુલિયા પર બાવળોની ડાળીઓ સીધી રોડ પર આવી જતા દરરોજ વાહન અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ રાજાશાહી સમયના આ પુલિયા આજના ભારે ટ્રાફિક માટે સંપૂર્ણપણે અયોગ્ય બની ગયા છે. એક તરફ પુલિયા સાંકડા અને બીજી તરફ બાવળોની ઘૂસણખોરી આ ડબલ જોખમ વચ્ચે વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાઈક ચાલકો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં પાછળ બેઠેલા મુસાફરોના કપડાંમાં બાવળની ડાળીઓ ફસાઈ જતાં અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. બગવદર બસ સ્ટેન્ડ નજીકના ડિવાઈડરમાં પણ બાવળો ઊગી નીકળ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે, વર્ષો પહેલા વાવવામાં આવેલા ગાંડા બાવળો આજે અભિશાપ બની ગયા છે, છતાં છેલ્લા ઘણા વર્ષોથી સરકાર અને સંબંધિત વિભાગો માત્ર મૌન દર્શક બની રહ્યા છે. ત્યારે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક અસરથી બાવળોની કાપણી, પુલિયાની વિસ્તરણ કામગીરી અને માર્ગ સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ ઉગ્ર બની છે. રાજકીય આગેવાનો પણ આ માર્ગે પસાર થાય છેસ્થાનિકોએ જણાવ્યું હતુકે, અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓ આ માર્ગ પરથી પસાર થાય છે, છતાં સમસ્યા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ રાજકીય આગેવાનો અને તંત્ર જાગશે તેવા સવાલો ઉઠ્યા છે.
સન્ડે ફોટો સ્ટોરી:સુદામાજી રોજ સ્નાન કરવા જતાં એ પૌરાણિક કેદારેશ્વર કુંડ હજુ પણ આસ્થાનું કેન્દ્ર
શહેરમાં અનેક પૌરાણીક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલ છે.ત્યારે પોરબંદરએ ભગવાન શ્રી કૃષ્ણ મિત્ર સુદામાજીનું જન્મ અને રહેણાંક સ્થળ પણ માનવામાં આવે છે. જેથી સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલ છે.ત્યારે કેદારેશ્વર કુંડ એ ગુજરાતના પોરબંદર શહેરમાં આવેલું એક અત્યંત પૌરાણિક અને પવિત્ર સ્થળ છે. આ કુંડ માણેકચોક નજીક આવેલા આશરે 5000 વર્ષ જૂના કેદારેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલો છે. પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર ભક્ત સુદામાજી પણ આ કુંડમાં દરરોજ સ્નાન કરતા હતા. આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે ક્યારેય સુકાતું નથી તેવી માન્યતા છે.ત્યારે સ્થાનિક ખારવા સમાજ દ્વારા અહીં ગોરમાવડીના વિસર્જન જેવી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશનના પાર્કિગમાં વર્ષો પૂર્વે સુલભ સોચાલય બનાવવામાં આવ્યું હતું ત્યારે આ સોચાલયને છેલ્લા 3 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરો અને અહીં વેપાર કરતા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરવામાં આવ્યું હતું.ત્યારે રેલ્વે સ્ટેશનના આધુનિકરણ પૂર્વે જ મુસાફરોની સુવિધા માટે રેલ્વે વિભાગે સ્ટેશનમાં આવેલ પાર્કિગમાં સુલભ સોચાલય બનાવવામાં આવ્યું હતું પરંતુ આ સોચાલયને કોઈ કારણોસર છેલ્લા 3 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને રેલ્વે સ્ટેશન આવતા મુસાફરોને સોચાલયના ઉપયોગ માટે ફરજિયાત રેલ્વે સ્ટેશન અંદર જવાની ફરજ પડે છે તો આ રેલ્વે સ્ટેશન નજીક વેપાર કરતા વેપારીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સોચાલય મુસાફરો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવા નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સોચાલય તાળા લગાવી દેવામાં આવતા હાલાકી વેઠવી પડે છે. રેલ્વે સ્ટેશન ખાતે રોજના 1000 મુસાફરોની અવર જવરપોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે સવારથી સાંજ સુધીમાં અનેક રૂટની લોકલ તેમજ એક્સપ્રેસ અને વિકલી ટ્રેઈનની અવાર જવર થતી હોય છે જેમાં દિવસ દરમ્યાન 1 હજારથી વધુ મુસાફરો અવાર જવર કરે છે.
RTE પ્રવેશ પ્રક્રિયા:RTE અંતર્ગત હવે તારીખ 23 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે
RTE અંતર્ગત વાલીઓ દ્વારા તા. 23 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. પોરબંદર જિલ્લામાં RTE એટલેકે રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રાથમિક ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1મા પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે પોરબંદર જિલ્લામાં 91 જેટલી પ્રાથમિક ખાનગી શાળા ખાતે અંદાજિત 516 બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. આ RTE હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે . સરકારે તારીખ 23 એપ્રિલ 2026 સુધીની તારીખમાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં જે ફોર્મ એપ્રુવડ થયા છે તેવા વાલીઓએ ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ જે ફોર્મ રદ થયા છે તેવા વાલીઓ નવા ફોર્મ ભરી શકશે. જે માટે વાલીઓ https://rte.orpgujar at.com સાઇટ પર જઈને જાણકારી અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે. પોરબંદર જિલ્લામાં 8799382274 હેલ્પ લાઈન નંબર પર વાલીઓ જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. કેટલા ફોર્મ ભરાયા અને કેટલા રદ થયા ?પોરબંદર જિલ્લામાં RTE અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 2261 અરજી આવી છે, જેમાંથી 158 ફોર્મ રિજેક્ટ થયા છે. 1416 ફોર્મ એપ્રુવડ થયા છે. 183 ફોર્મ ચકાસણી હેઠળ છે અને 504 ફોર્મ ડુપ્લીકેટ હતા જે કેન્સલ થયા છે.
ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી:ખાનગી શાળાઓને કડક ચેતવણી, ડોનેશન અને દબાણ નહીં ચાલે
પોરબંદર જિલ્લામાં જૂન 2026થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં નવા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે કે, ઉનાળુ વેકેશન અથવા જાહેર રજાઓ દરમિયાન અભ્યાસ ચાલુ રાખવા અથવા ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરેલી ફી કરતાં વધુ રકમ શાળા વિકાસના નામે ડોનેશન તરીકે વસૂલવામાં આવશે તો તે સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને નિશ્ચિત દુકાનોમાંથી જ સ્કૂલ ડ્રેસ અથવા પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરવું આવા તમામ કિસ્સાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)ના ઉલ્લંઘન બદલ સંબંધિત શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ડોનેશન, બળજબરીપૂર્વક ડ્રેસ-પુસ્તક ખરીદી અને ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ જેવી પ્રથાઓ પર હવે સીધી કાર્યવાહી થશે તેવી ચેતવણી આપવામાં આવી છે. શું કાર્યવાહી થઈ શકે ?કાયદાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે પ્રથમ વખત રૂ.25,000નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ દરેક ઉલ્લંઘન માટે રૂ. 50,000નો દંડ વસૂલવામાં આવશે. વારંવાર નિયમોનો ભંગ કરતી શાળાઓની માન્યતા કાયમી રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ફરિયાદ કરો નામ ગુપ્ત રખાશે વાલીઓની સુવિધા માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઈ શાળાની ગેરરીતિ અંગે માહિતી મળે તો આધાર પુરાવા સાથે dpeoporbandar@gmail. com અથવા deoporbandar@gmail.c om પર ઇમેઇલ દ્વારા જાણ કરવા અથવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવસિંહજી સરકારી હાઈસ્કૂલની બાજુમાં, પોરબંદર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પંચાયત ભવન ખાતે રૂબરૂ રજૂઆત કરી શકાશે. ફરિયાદ કરનાર વાલી અથવા બાળકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવાયું છે.
પોરબંદર જિલ્લામાં અખાત્રીજના દિવસે અનેક વિસ્તારોમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ લગ્ન પ્રસંગમાં બાળલગ્ન અટકાવવા સમાજ સુરક્ષા વિભાગે તૈયારીઓ શરૂ કરી છે.સમાજ સુરક્ષા વિભાગે જિલ્લાના ત્રણેય તાલુકા સ્તરે બાળલગ્ન રોકવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં અખાત્રીજના શુભ પ્રસંગે યોજાનારા લગ્નોમાં બાળલગ્ન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે તંત્ર દ્વારા આગોતરા તૈયારી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં બાળકોના સુરક્ષા અને અધિકારોના સંરક્ષણ માટે બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા વિભાગ સક્રિય રીતે કાર્યરત છે.જિલ્લામાં બાળલગ્ન વિરોધી જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છતાં પણ ક્યાંય બાળલગ્નની ઘટના સામે આવે તો સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.પોરબંદર જિલ્લામાં ત્રણેય તાલુકા સ્તરે બાળલગ્ન રોકવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. દરેક તાલુકા મથકે બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ તહેનાત રહેશે. આ ટીમોમાં લીગલ ઓફિસર, બાળ સુરક્ષા અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, ચિલ્ડ્રન હોમના અધિક્ષક તેમજ ચાઇલ્ડલાઇનના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સંકલિત રીતે કામગીરી કરશે.
ગર્વની વાત:પોરબંદરની સરકારી શાળાની વિદ્યાર્થિની ISRO ની મુલાકાતે જવા પસંદગી પામી
પોરબંદરની સરકારી એમ.કે.ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, મહેનત અને સંસ્કારોથી શાળાનું નામ રોશન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એટલેકે ઇસ્કોન દ્વારા યોજાયેલ વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 8ની અંકિતા બાપી ભૂયાન, યક્ષ અશોક ભદ્રેચા અને યુક્તિ સ્નેહલ પાંધી જેવા વિદ્યાર્થીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વેલ્યુ એજ્યુકેશન જેવી સ્પર્ધા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, શિસ્ત, સંસ્કાર અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહત્વની વાત એ છે કે, આ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાની વિદ્યાર્થિની અંકિતા બાપી ભૂયાનએ ISROની મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સિધ્ધિ બદલ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર, શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજ તેમજ શાળા પરિવાર દ્વારા અંકિતાને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
વિદાય સમારંભનું આયોજન કરાયું:નવયુગ એજ્યુકેશન સોસાયટીમાં નિવૃત્ત અધ્યાપકોનો ભાવુક વિદાય સમારંભ યોજાયો
પોરબંદરની નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપકોના નિવૃત્તિ નિમિત્તે શહેરની હોટેલ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. કોલેજ પરિવારના પાયા સમાન ડો. વી.ટી. થાનકી, ડો. એ. જે. રોજીવાડિયા અને એ. એમ. હિરાણીના સેવાકાળ પૂર્ણ થતા તેમને ભાવભીનાં વિદાય અપાઈ હતી. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી સંસ્થાના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી રમાબેન તથા પ્રિન્સિપાલ ડો. બી. એ. જાડેજાનું આગવી રીતે સન્માન કરાયું હતું. ત્યારબાદ નિવૃત્ત થતા અધ્યાપકોને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોના સહકર્મીઓએ નિવૃત્ત સભ્યોને સ્મૃતિ ભેટ આપી તેમના પ્રત્યેનો લાગણીસભર સ્નેહ વ્યક્ત કર્યો હતો. નિવૃત્ત અધ્યાપકોએ પોતાના સંસ્મરણો વહેંચતા કોલેજ સાથેના વર્ષો જૂના અનુભવો યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રિન્સિપાલ ડો. બી. એ. જાડેજાએ નિવૃત્ત અધ્યાપકોની શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી, જ્યારે સંસ્થાના આગેવાનો દ્વારા ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
યાર્ડમાં રવિપાકની આવક:સૌથી વધુ ધાણાની 7000 કિલો આવક થઈ,પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ બોલાયા
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવક જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ ધાણાની 7000 કિલો આવક થઈ હતી જેનો પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શનિવારે મગફળીની 2500 કિલો,મેથીની 1500 કિલો,ચણાની 5500 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 7000 કિલો,ઘઉંની 5900 કિલો,જુવારની 1000 કિલોની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1170 થી 1305 ભાવ,મેથી રૂ.1300 ભાવ,જીરુના રૂ.3600 થી 4025 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ અને ચણાના રૂ.1000 થી 1355 ભાવ બોલાયા હતા.યાર્ડમાં શનિવારે ધાણાની આવકમાં વધારો થયો હતો. સિઝન પુરી થતા તમામ જણસીની આવક ઘટી પોરબંદરના યાર્ડમાં શિયાળું પાક તૈયાર થતા યાર્ડમાં ઘાણા, જીરું,ઘઉં સહિતના પાકની મબલક આવક નોંધાઈ રહી હતી ત્યારે હાલ શિયાળું પાકની સિઝન પુરી થતા યાર્ડમાં ઘાણા, જીરું,ઘઉં સહિતના શિયાળું પાકની જણસીની આવક ઘટી છે.
પોરબંદર મનપા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે હેતુસર પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ જાહેરમાં ગેરકાયદે ઘાસચારો વેચતા અથવા કચરો ફેલાવતા શખ્સો વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કમિસ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિસ્નરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા-જુદા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેક્ટર તેમજ સુપરવાઇઝરોની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ વેચતા તથા તેનો ઉપયોગ કરતા કુલ 13 વેપારી ઝડપાયા હતા. આ વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ રૂ.3,700 વસુલ કરી પ્રતિબંધિત 5.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, તથા જાહેરમાં વ્યક્તિ વેપારીઓ દ્વારા ગંદકી કરનાર તથા જાહેર જગ્યાઓ ઘાસચારો વેચનાર ટોટલ 3 લોકોને રૂ. 2,000 નો દંડ કરવામાં આવ્યો હતો. 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આવું કરતા પકડાશે તો મનપાના ઉપનિયમો મુજબ રૂ. 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ગત 10 માર્ચે 16 વેપારી દંડાયા હતાસેનિટેશન વિભાગની ટીમ દ્વારા ગત તા. 10 માર્ચના રોજ નટવર ચોક શાકમાર્કેટ વિસ્તારમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર કુલ 16 વ્યક્તિની સામે કાર્યવાહી કરી કુલ રૂ.1600નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
વેધર રિપોર્ટ:પોરબંદર જિલ્લામાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું
પોરબંદરમાં વાતાવરણમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. મહતમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 49 ટકા પહોંચ્યું છે. પોરબંદરમાં સવારથી રાત સુધી ગરમીનો અનુભવ થાય છે અને બપોરે તો ઉકળાટ અનુભવાઈ છે. જ્યારે મોડી રાત્રે ભેજવાળું વાતાવરણ સર્જાઈ છે. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 22.2 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 44 ટકા નોંધાયું હતું જેની સામે શનિવારે મહતમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 35.7 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા વધીને 49 ટકા નોંધ્યુ છે. સૂકો ઉકળાટ ને બદલે ભેજભર્યો ઉકળાટ !પોરબંદરમાં ઉનાળે ભેજનું પ્રમાણ 40 ટકા નોંધાયું છે ત્યારે વધુ ભેજના કારણે થાક, ચામડી સંબંધિત સમસ્યાઓ અને ડિહાઈડ્રેશન જેવા લક્ષણો જોવા મળી શકે છે. તબીબો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા, હલકા કપડા પહેરવા અને બપોરના તાપમાં બહાર જવાનું ટાળવા સલાહ આપવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય,પેટા ચુંટણીઓ એપ્રિલ-2026 દરમિયાન મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં તા.26/04/2026 ના રોજ અડચણ થતી અટકાવવા તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જાહેરનામાં અનુસાર ચૂંટણીમાં મતાધિકાર ઉપયોગ કરનાર તમામ મતદારોએ જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવું. મતદારે મતદાન મથકમાં લાઇન મુજબ પોતાના વારા પ્રમાણે એક પછી એક દાખલ થવું અને મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવું.આ હુકમ તા.26/04/2026 ના રોજ મતદાન પુર્ણ થતાં સુધી તથા જો પુન: મતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં તા.27/04/2026 ના રોજ મતદાન પુર્ણ થતાં સુધી અમલમાં રહેશે.
જિલ્લા કમાન્ડન્ટે આપી ચેતવણી:ચુંટણી દરમિયાન હોમગાર્ડઝને ફરજ પર હાજર રહેવા સૂચના
આગામી તા. 26-04-2026ના રોજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાની ચુંટણીઓ યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા હોમગાર્ડઝને તૈનાત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જિલ્લા કમાન્ડન્ટ જે.એન. જોષી દ્વારા તમામ હોમગાર્ડઝ સભ્યોને ફરજ પર અનિવાર્ય રીતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ચુંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલ જળવાઈ રહે તે માટે હોમગાર્ડઝની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે. તેથી તમામ સભ્યોને પોતાની ફરજ પ્રત્યે સજાગ રહી નિયત સ્થળે સમયસર હાજર રહેવા જણાવ્યું છે. જિલ્લા કમાન્ડન્ટે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ સભ્ય ફરજમાં બેદરકારી દાખવશે અથવા ગેરહાજર રહેશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેથી તમામ હોમગાર્ડઝ સભ્યોએ આ સૂચનાની ગંભીરતાથી નોંધ લેવા જણાવ્યું છે.
આપઘાતનો મામલો:રાણા રોજીવાડા ગામે વૃધ્ધે ગળે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
પોરબંદરના રાણા રોજીવાડા ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા એક વૃધ્ધે મોટી ઉમર અને માનસિક સ્થિતિ સારી ન રહેતી હોવાથી ગળે ફાંસો ખાઈ લેતા વૃધ્ધનું મોત નીપજ્યું છે. પોરબંદરના રાણા રોજીવાડા ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા દેવશીભાઇ અરશીભાઇ સોલંકી નામના 82 વર્ષીય વૃધ્ધે ગત તા.17/4ના રોજ પોતાના મકાનમાં ગળે ફાંસો લાઇ આપઘાત કરી લીધો હતો. આ વૃધ્ધની મોટી ઉંમર હોય અને માનસિક સ્થિતિ સારી ન હોય જેથી વૃધ્ધે ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હોવાનું મનસુખ દેવશીભાઇ સોલંકીએ પોલીસ ચોપડે જાહેર કરતા, પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે.
પેન્શનધારકોને અપીલ:પેન્શનરો માટે હયાતીની ખરાઈ મે થી જુલાઈ માસ દરમ્યાન કરી લેવી
પોરબંદરની જિલ્લા તિજોરી શાખા દ્વારા જિલ્લામાં પેન્શનરો માટે હયાતીની ખરાઈ મે થી જુલાઈ માસ દરમ્યાન કરવા સૂચના આપવામાં આવી છે. પેન્શન ધારકોને દર વર્ષે હયાતીની ખરાઈ કરવી ફરજીયાત છે. પોરબંદર જિલ્લા તિજોરી કચેરી દ્વારા IRLA યોજના હેઠળ પેન્શન મેળવનાર રાજ્ય સરકારના પેન્શનરોને દર નાણાંકીય વર્ષ મુજબ પોતાની હયાતીની ખરાઈ કરવા સૂચના આપવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2026-27 માટે પેન્શનરોએ તેઓ પેન્શન મેળવે છે તે સંબંધિત બેંકમાં મે, જૂન અને જુલાઈ મહિના દરમ્યાન હયાતી ખરાઈ કરાવવાની રહેશે. આ ઉપરાંત, રાજ્ય સરકારની સૂચના મુજબ પેન્શનરો પોસ્ટ મારફતે વિનામૂલ્યે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરીને પણ પોતાની હયાતી ખરાઈ કરાવી શકશે.ત્યારે પેન્શન યોજના હેઠળ લાભ લેવા આ કામગીરી ફરજિયાત કરવા સૂચના આપવામાં આવી છે.
મોડાસા પાલિકા દ્વારા બાયપાસ પાસે લાખોના ખર્ચે બનાવેલો મેરેજ હોલ શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. આ ભવન નજીક નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટનો કચરો ઠાલવતાં આ સ્થળની આસપાસ વાતાવરણ દુર્ગંધ મારી રહ્યું હોવાથી એક પણ દિવસ મેરેજ હોલનો કોઈએ ઉપયોગ ન કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મોડાસાના સ્થાનિક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે લાખોના ખર્ચે બનેલો આ આલીશાન હોલ તૈયાર થયો ત્યારે આ મેરેજ હોલ પ્રજા માટે આશીર્વાદ સમાન બનશે તેથી લોકોમાં ખુશી જોવા મળી હતી. ઉદ્ઘાટન બાદ એક પણ દિવસ કોઈ નાગરિક દ્વારા ભાડે કે અન્ય સામાજિક પ્રસંગ માટે આ હોલ ઉપયોગમાં લેવાયો નથી. આ મામલે પ્રજાના હિતમાં મોડાસા શહેર પ્રમુખ રાહુલભાઈ પટેલ અને પ્રમુખ અરૂણભાઇ પટેલે નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા ડમ્પિંગ સાઇટનો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કામગીરી:ભીમરાણાના બુટલેગરો સામે પાસાની કાર્યવાહી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. દ્વારા અસામાજિક તત્વો અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી અને પો.સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી દ્વારા ટોચના ગુનેગારોના ગુનાહિત ઇતિહાસનું વિશ્લેષણ કરી ભીમરાણા ગામના મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા અને દિલીપસિંહ વિરાજી જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ એમ. તન્નાએ કેસનો વિગતવાર અભ્યાસ કરીને બંને ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત વોરંટ જાહેર કર્યા હતા.એલ.સી.બી. ટીમે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પકડાયેલા મયુરસિંહ જાડેજાને સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ અને દિલીપસિંહ જાડેજાને જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પ્રશાસન દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
પાણીની સમસ્યા બની વિકટ:મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડો ખેડૂત એકતા મંચની કલેક્ટરને રજૂઆત
શામળાજીની મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં મોડાસા તાલુકાના મેશ્વો નદી કાંઠાના 14 કરતાં વધુ ગામડાઓ અને ભિલોડા તેમજ શામળાજી તાલુકાના નદી કાંઠાના 15 કરતાં વધુ ગામડાના લોકોને અને પશુ પંખીઓને પીવાના પાણી માટે વિકટ સમસ્યા ઉભી થઈ છે. ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલકુમાર સુરજીભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે નદીમાં પાણી સૂકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં પાણીના તળ નીચા જતાં પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે પાણી છોડવામાં આવે તે માટે કલેકટરને લેખિતમાં રજૂઆત કરાઇ છે. ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે શામળાજીના મેશ્વો જળાશયમાં 60 ટકા કરતાં વધુ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. બીજી બાજુ હાલ ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં નદી કાંઠાના બેચરપુરા રૂદરડી ભવાનપુર શામળપુર ખારી મેરાવાળા નાપડા નાપડા (ખા) ખેરંચા સોડપુર અસાલ વાદીયોલ ખીલોડા અને બ્રહ્મપુરી અને મોડાસા તાલુકાના 14 કરતાં વધુ ગામડાઓના લોકો માટે પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. નદીમાં પાણી સૂકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં બોર કૂવામાં પાણીના તળ નીચા જતાં માનવ સહિત પશુ પંખીઓ માટે પાણીની સમસ્યાનું નિર્માણ થયું છે. બીજી બાજુ બોરકૂવામાં પાણીના તળ નીચા જતાં પશુપાલકોને લીલા ઘાસચારા માટે પણ મોટી સમસ્યાનું નિર્માણ થયું છે.
ચૂંટણી બહિષ્કારની ચીમકી:ઉનાવા ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની સમસ્યા મામલે રજૂઆત
ઉનાવા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 3 અને 4માં આવેલા ગોખરુંવાસ અને બારોટવાસના રહીશો છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં પૂરતા દબાણથી કે નિયમિત પાણી મળતું ન હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તાર ઊંચાણવાળો હોવાથી પાણી પુરવઠો યોગ્ય રીતે પહોંચતો નથી. પરિણામે રહીશોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને પાણીના ટેન્કર મગાવવાની ફરજ પડી રહી છે. આ મુદ્દે અગાઉ અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં કંટાળેલા રહીશોએ આજે પંચાયતમાં ફરી લેખિત રજૂઆત કરી હતી અને તલાટીને આવેદનપત્ર સોંપ્યું હતું. રહીશોએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
ઉનાવાની સમરાથલ હોટલમાંથી 4 મહિના પૂર્વે જપ્ત કરેલ ફટકડી જેવો શંકાસ્પદ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલતાં હોટલ સંચાલક બે ભાઈઓ સામે ગુનો નોંધી, એકની ધરપકડ કરી છે. મહેસાણા એસઓજીની ટીમે 18 ડિસેમ્બર 2025ના રોજ ઉનાવા હાઇવે પરની સમરાથલ હોટલમાં રેડ કરી, બે પ્લાસ્ટિકની થેલીમાંથી સફેદ કલરનો શંકાસ્પદ પાવડર પકડ્યો હતો. તે સમયે એફએસએલએ પ્રાથમિક તપાસ બાદ સેમ્પલ લઈ ગાંધીનગર એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતાં આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે ઉનાવા પોલીસે હોટલ ચલાવનાર ચૌધરી (ગોદારા) ગમડારામ ખેતારામ (રહે. સોડિયાર ગોદારા કી ઢાણી, જિ.બાડમેર)ની ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સનો જથ્થો લાવનાર તેના ભાઈ સતારામ ખેતારામ ચૌધરીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સવા 2 ડિગ્રી ઉછાળા સાથે પારો 41 પાર:મહેસાણા 41.9 ડિગ્રીએ તપ્યું, ગરમ પવનોથી જનજીવન અકળાયું
ઉત્તર ગુજરાતમાં શનિવારે ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો હતો. સવા બે ડિગ્રીના વધારા સાથે મુખ્ય પાંચ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચી ગયું હતું. હિંમતનગર, પાટણ અને મોડાસામાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે મહેસાણામાં 40.9 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર ફૂંકાયેલા ગરમ પવનોથી લોકો અકળાયા હતા. કાળઝાળ ગરમી અને સરેરાશ 9 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ લાહ્ય પવનના કારણે બપોર દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી. બજારોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ ભીડ ઓછી જોવા મળી હતી. લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, કૂલર અને એસીનો સહારો લેતા નજરે પડ્યા હતા. હજુ બે દિવસ ગરમી રહેશેહવામાન વિભાગ મુજબ રવિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે મહેસાણામાં અંશત: વાદળાં રહી શકે છે. જોકે વરસાદની કોઈ શક્યતા નથી, એટલે ગરમીમાંથી તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે.બે દિવસ પછી ઘટી શકે છે.

31 C