ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં અટકેલા અંડરપાસનું નિર્માણકાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. તકનીકી કારણોસર લાંબા સમયથી અટકેલું આ કામ પુનઃ શરૂ થતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ રાહત અનુભવી છે. શહેરમાં ચાલી રહેલા અનેક વિકાસકાર્યો પૈકી શહેરા ભાગોળ અને જાફરાબાદ ફાટક પરના અંડરપાસનો સમાવેશ થાય છે. શહેરા ભાગોળ અંડરપાસનું કામ તકનીકી ખામીઓને કારણે વારંવાર અટકી પડતું હતું. જેના કારણે આસપાસના રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને તેમણે અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી હતી. હવે અંડરપાસના ઇજારદાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે વિભાગ સાથે સંકલન સાધીને કામની શરૂઆત કરવામાં આવી છે. બંને વિભાગોના સુચારુ સંકલનથી નિર્માણકાર્યને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. સ્થાનિક સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાનીની ઉપસ્થિતિમાં ઇજારદાર દ્વારા શ્રીફળ વધેરીને નિર્માણકાર્યનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે કામ ઝડપથી પૂર્ણ થશે, જેથી તેમના પડી ભાંગેલા વેપાર-ધંધા ફરી ગતિ પકડી શકશે.
કેરી બેગના ₹13 શોરૂમને ₹1013માં પડ્યા:ગ્રાહક કોર્ટે વ્યાજ અને દંડ સાથે ચૂકવવા આદેશ કર્યો
પાટણના એક વકીલ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ ગ્રાહક કોર્ટે એક શોરૂમને કેરી બેગ માટે વસૂલ કરાયેલા ₹13 વ્યાજ સાથે પરત ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, કોર્ટે માનસિક ત્રાસ અને ખર્ચ પેટે ₹1000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આમ, શોરૂમને ₹13ની કેરી બેગ ₹1013માં પડી છે. આ ઘટના 15 મે, 2024ના રોજ બની હતી. પાટણના વકીલ દર્શક ત્રિવેદી ચેન્નઈના 'લાઇફ સ્ટાઇલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ' શોરૂમમાંથી ₹4,298નું કાપડ ખરીદવા ગયા હતા. શોરૂમમાં તેમનું લાઇફ સ્ટાઇલ કાર્ડ ન હોવાથી, કેશિયરે બિલ પ્રભુ એસ નામના અન્ય વ્યક્તિના નામે બનાવ્યું હતું. વકીલ ત્રિવેદીએ બીજાના નામે બિલ બનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી કે ખરીદેલી વસ્તુઓ લઈ જવા માટે કેરી બેગ આપવી એ વિક્રેતાની જવાબદારી છે. મેનેજર સાથેની ચર્ચા બાદ તેમના નામે બિલ બનાવવામાં આવ્યું, પરંતુ કેરી બેગ માટે તેમના ડેબિટ કાર્ડમાંથી ₹13 કાપી લેવામાં આવ્યા. આ અંગે તેમણે પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. શોરૂમ સંચાલકોએ તેમના જવાબમાં જણાવ્યું હતું કે સરકારે પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી, તેઓ ગ્રાહકોને તેમની મરજીથી ચૂકવણીના ધોરણે પેપર બેગ આપે છે. તેમણે મફતમાં બેગ પૂરી પાડવાની તેમની કોઈ જવાબદારી ન હોવાનું પણ જણાવ્યું હતું. આ કેસની સુનાવણી મંગળવારે ગ્રાહક કોર્ટમાં થઈ હતી. કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ અવલોકન કર્યું કે ગ્રાહકને ખરીદેલી વસ્તુઓ મૂકવા માટે બેગ આપવી એ શોરૂમની ફરજ છે. કોર્ટે શોરૂમને કેરી બેગના ₹13 નવ ટકાના સાદા વ્યાજ સાથે પરત ચૂકવવા અને અરજદારને થયેલા ખર્ચ તથા માનસિક ત્રાસ બદલ ₹1000 ચૂકવવાનો આદેશ કર્યો.
સુરતના હાઈ પ્રોફાઈલ એમડી ડ્રગ્સ કેસમાં એસ.ઓ.જી.ની તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. મુખ્ય આરોપી બ્રિજેશ ભાલોડીયા સચીનની એક નામાંકિત કેમિકલ કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. માત્ર 35 હજારના પગારમાં કામ કરતો બ્રિજેશ ડ્રગ્સ માફિયા બનવાના રવાડે ચઢ્યો હતો. તે પોતાની જ કંપનીમાંથી ડ્રગ્સ બનાવવા માટેના કિંમતી કેમિકલો અને ચોરી-છૂપીથી બહાર લાવતો હતો.એસ.ઓ.જી. હવે એ કંપનીમાં પણ તપાસ લંબાવશે કે આટલા મોટા પાયે કેમિકલની ચોરી થતી હોવા છતાં કંપનીના મેનેજમેન્ટને ગંધ કેમ ન આવી? PhD લેબ માલિક ઈશા અણઘડના 'દિલ્હી પ્રવાસ' પર સવાલોપરવટ પાટીયાના પોલારીસ શોપિંગ સેન્ટરમાં ચાલતી 'ડીક્રીયા ફૂડ એન્ડ ફાર્મા લેબોરેટરી' હવે તપાસના કેન્દ્રમાં છે. લેબની માલિક ઈશા અણઘણ, જે પોતે બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ અને પીએચડી ધરાવે છે, તેણે લંડનના જનક જાગાણીના કહેવાથી માત્ર ૧૨ હજાર રૂપિયામાં લેબનો હિસ્સો બ્રિજેશને ભાડે આપ્યો હતો. એસ.ઓ.જી. પૂછપરછ માટે બોલાવે તે પહેલા જ ઈશા દિલ્હી 'કામ અર્થે' રવાના થઈ ગઈ છે. સવાલ એ છે કે, જે મહિલા પાસે કેમિકલનું આટલું ઊંડું જ્ઞાન હોય, તેની નજર સામે ટેબલ પર ડ્રગ્સ બનતું હોય છતાં તે અજાણ કેવી રીતે હોઈ શકે? લંડનથી ઓપરેટ થતું ડ્રગ્સ નેટવર્કઆ ડ્રગ્સ રેકેટનો અસલી માસ્ટરમાઇન્ડ અમરોલીના છાપરાભાઠાનો જનક વિઠ્ઠલ જાગાણી છે. હીરાના કારખાનામાં મજૂરી કરતા પિતાનો દીકરો જનક દોઢ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો અને ત્યાંથી સુરતમાં ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક હેન્ડલ કરવા લાગ્યો. જનક સામે હવે લૂક આઉટ નોટિસ જારી કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, બ્રિજેશ ભાલોડીયા માત્ર 5 દિવસમાં કેમિકલોની પ્રોસેસ કરી 1 કિલો શુદ્ધ એમડી ડ્રગ્સ તૈયાર કરી લેતો હતો. આ કેસમાં પકડાયેલા ત્રણેય પેડલરો હાલ રિમાન્ડ પર છે અને મોટા માથાઓના નામ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.
મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર નવરંગ ચોક વિસ્તારમાં પીવાના પાણીની શુદ્ધતા અને જાહેર આરોગ્યના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા પીવાના પાણીના મુખ્ય પ્લાન્ટની બિલકુલ નજીક ગટર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સમ્પ) બનાવવાની કામગીરી શરૂ કરાતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલોએ રસ્તા પર ઉતરી, થાળી-વેલણ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.તાજેતરમાં ઇન્દોર અને ગાંધીનગર જેવી જગ્યાએ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી સર્જાયેલી હોનારત અને જાનહાનિની ઘટનાઓથી બોધપાઠ લઈ મહેસાણાના રહીશો સતર્ક થયા છે. પ્લાન્ટને કાયમી ધોરણે અન્યત્ર ખસેડવાની માંગ પર અડગસ્થાનિકોનો તર્ક છે કે ડ્રેનેજ પ્લાન્ટ અને પાણીનો સ્ત્રોત આટલા નજીક હોવા તે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. લોકરોષને જોતા હાલમાં તંત્ર દ્વારા કામગીરી કામચલાઉ ધોરણે અટકાવવામાં આવી છે, પરંતુ રહીશો આ પ્લાન્ટને કાયમી ધોરણે અન્યત્ર ખસેડવાની માંગ પર અડગ છે. ભવિષ્યમાં જો આ સ્ટ્રક્ચરમાં તિરાડ પડે કે લીકેજ થાય તો ગંદુ પાણી સીધું ટ્યુબવેલમાં ઉતરી જશે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર અને સ્થાનિક રહીશ પી. આઈ. પટેલે આ મામલે ટેકનિકલ પાસાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, અહીં 50 લાખ લિટરનો પીવાના પાણીનો સમ્પ અને બે ટ્યુબવેલ આવેલા છે. તેની બિલકુલ નજીક 11 મીટર ઊંડું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં જો આ સ્ટ્રક્ચરમાં તિરાડ પડે કે લીકેજ થાય તો ગંદુ પાણી સીધું ટ્યુબવેલમાં ઉતરી જશે અને હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થશે. પમ્પિંગ સ્ટેશન જરૂરી છે, પણ તેનું અંતર જાળવવું અનિવાર્ય છે. લડત માત્ર વર્તમાનની નહીં, પણ આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનીઅન્ય રહીશ બકુલ ભાઈ એ કહ્યું કે, અમે કામના વિરોધી નથી, પણ સ્થળના વિરોધી છીએ. જો પીવાના પાણીની બાજુમાં જ ગંદા પાણીનો સંગ્રહ થશે તો ભવિષ્યમાં વિકટ પરિસ્થિતિ સર્જાશે. આજે પ્રતિકાત્મક રીતે થાળી-વેલણ વગાડી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ પ્લાન્ટ રદ કરવાનો કે ખસેડવાનો લેખિત નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ લડત માત્ર વર્તમાનની નહીં, પણ આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાની છે તેવું રહીશોએ જણાવ્યું હતું.
મહીસાગર LCBએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે 2 ઝડપ્યા:કડાણાના માલવણ ગામેથી ₹16,100નો મુદ્દામાલ જપ્ત
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. LCB ટીમે તેમની પાસેથી ₹16,100 ની કિંમતની 20 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના ઉત્તરાયણ/જાહેરનામા (તારીખ 22/12/2025) અન્વયે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના હેરાફેરી અને વેચાણ કરતા ઈસમો પર નજર રાખી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. LCB સ્ટાફને બાતમી મળી હતી કે માલવણ ગામે બે ઈસમો દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે, LCB ટીમે દરોડો પાડીને સલમાન ઇમરાનભાઇ લતીફભાઇ ઘાંચી અને હિતેશ મહેશભાઇ ખાંટ (બંને રહે. માલવણ, તા. કડાણા, જિ. મહીસાગર) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
છોટાઉદેપુરના કવાંટ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો નથી અને કોઈનું વિસ્થાપન થશે નહીં. આ સમારંભમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ ઉપરાંત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા નામ લીધા વગર ચૈતર વસાવા પર આડકતરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો દ્વારા અહીંયા ગુમરાહ કરવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. પટેલે જણાવ્યું કે, એવી ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી હતી કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ કે GMDC પ્રોજેક્ટ આવશે, જેના કારણે મોટી સંખ્યામાં ગામડાઓ વિસ્થાપિત થશે. તેમણે સરકારના મંત્રી તરીકે ખાતરી આપી કે આવો કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ બનવાનો નથી અને એક પણ વ્યક્તિને વિસ્થાપિત કરવામાં આવશે નહીં. તેમણે ગુમરાહ કરનારા લોકોથી ચેતવા પણ અપીલ કરી હતી. મીડિયાના સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે ભાજપ કોઈનાથી ડરતી નથી અને કોઈપણ ચૂંટણી માટે કાર્યકરોના સહયોગથી હંમેશા તૈયાર હોય છે. તેમણે ઉમેર્યું કે, જે લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરશે, તેમને ભાજપના નેતાઓ લોકો વચ્ચે આવીને જવાબ આપશે. હાઇડ્રો પ્રોજેક્ટ અંગે વધુ સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, વાસ્તવમાં કોઈ પ્રોજેક્ટ જ ન હોવાથી તેને રદ કરવાનો સવાલ જ નથી. તેમણે છોટાઉદેપુરની જનતાને આવા ભ્રામક પ્રચારોમાં ન આવવા અને કોઈ પ્રોજેક્ટ ન થવાનો હોવાની ખાતરી આપી હતી.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કામરેજના લસકાણા સ્થિત 'ન્યુ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ'નું કોટનસીડ ઓઈલ પરીક્ષણમાં નિષ્ફળ ગયું છે. લેબોરેટરી રિપોર્ટમાં બી.આર. રીડીંગ ધારાધોરણ કરતા વધુ આવતા આ તેલને 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરાયું છે. નિષ્ણાતોના મતે, તેલની શુદ્ધતા માપતા આ રીડીંગમાં વધારો સૂચવે છે કે તેમાં અન્ય સસ્તા તેલની ભેળસેળ કરવામાં આવી છે, જે ગ્રાહકોના પાચનતંત્ર, હૃદય અને કિડની જેવા મહત્વના અંગો પર ગંભીર નકારાત્મક અસરો કરી શકે છે. પાલિકાની ધીમી તપાસ અને લેબ રિપોર્ટમાં વિલંબઆરોગ્ય વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે, કારણ કે નવેમ્બર મહિનામાં લેવાયેલા ખાદ્ય તેલના નમૂનાનો રિપોર્ટ છેક જાન્યુઆરીમાં આવ્યો છે. પબ્લિક ફૂડ લેબમાં સ્ટાફની અછત અને ફૂડ એનાલિસ્ટ રજા પર હોવાને કારણે તપાસમાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. આવી જ રીતે લસકાણા ગામના એક તબેલામાંથી ઝડપાયેલા નકલી ઘીના કેસમાં પણ ચાર દિવસ બાદ પણ રિપોર્ટ ન આવતા પોલીસ કાર્યવાહી અટકી પડી છે. આ ઢીલી નીતિને કારણે ભેળસેળ કરનારા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેવું જણાય છે. ખજોદ કચરા કૌભાંડમાં દંડ અને અધિકારીઓની મિલીભગતબીજી તરફ, સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર મોટું 'કચરા કૌભાંડ' સામે આવ્યું છે, જેમાં સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સી પ્રોસેસ કર્યા વિનાનો કચરો બારોબાર મહુવાના આંબલિયા ગામે વેચી દેતી હતી. આ મામલે પાલિકાએ એજન્સીને 2.50 કરોડનો દંડ ફટકારી ૧૬ કરોડના પેમેન્ટ પર બ્રેક લગાવી છે. આશ્ચર્યની વાત એ છે કે કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતાં આ વિવાદાસ્પદ એજન્સી પાસે જ કામ ચાલુ રખાયું હતું, જે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. આ કૌભાંડમાં પર્યાવરણને થયેલા નુકસાન સામે માત્ર દંડ વસૂલવાની કાર્યવાહીને લીધે વિવાદ સર્જાયો છે. ઘણા લોકોનું માનવું છે કે માત્ર નજીવો દંડ કરી જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં એન્વાયરમેન્ટ ઇજનેર શરદ કાકલોતર સામે શો-કોઝ નોટિસની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ પ્રજાના ટેક્સના નાણાંનો જે રીતે દુરુપયોગ થયો છે તેને લઈને પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુરમાં પ્રથમવાર 'સાડી દોડ' યોજાઈ:મહિલા શક્તિનો ઉમંગ જોવા મળ્યો
છોટાઉદેપુરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર 'સાડી દોડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહિલા શક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો. મહિલાઓના સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ દોડ યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી આપીને આ અનોખી દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાડી દોડ પેટ્રોલ પંપ ચાર રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી ૧ કિલોમીટર લાંબી હતી. જેમાં સીનિયર સિટીઝનથી લઈને યુવતીઓ સહિત સમગ્ર જિલ્લાની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડ આગામી ૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર 'છોટાઉદેપુર મેરેથોન'ના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે મેરેથોનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા અને રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવવાનો હતો. દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગી મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં આકિબ બને દાનિશ નામના બે વ્યક્તિઓએ જામીન અરજી દાખલ કરી હતી. જેમની સામે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. બંનેની જામીન અરજીઓ સુરતની કોર્ટે ફગાવી દેતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. મ્યાનમારમાં ગેરકાનૂની રીતે ઘુસાડવાના રેકેટમાં સંડોવાયેલાકેસને વિગતે જોતા આરોપીઓ તરફે દલીલ કરવામાં આવી હતી કે, તેઓ મુખ્ય આરોપી નથી. તેઓ કેટલાક મહિનાથી જેલમાં છે. આ કેસ ડોક્યુમેન્ટલ પુરાવા આધારિત છે. બંને યુવાન છે, તેમની ઉપર કોઈ પૂર્વ ગુના નોંધાયેલા નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ યુવાનોને થાઈલેન્ડ થઈને મ્યાનમારમાં ગેરકાનૂની રીતે ઘુસાડવાના રેકેટમાં સંડોવાયેલા છે. આ કેસમાં તેઓની સીધી સંડોવણી છે. આરોપીઓએ 40થી વધુ લોકોને થાઈલેન્ડ મોકલ્યાઆ કેસમાં અન્ય સહ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. તેથી આરોપીને જામીન મળતા તેઓ એની આરોપીઓની મદદ કરી શકે તેમ છે. આરોપીઓએ 40થી વધુ લોકોને થાઈલેન્ડ મોકલી ત્યાંથી ગેરકાનૂની રીતે મ્યાનમાર મોકલ્યા હતા. 70થી 75 હજારના ઊંચા પગારની લાલચ આપીને દેશના યુવાનોને મ્યાનમારમાં સાઇબર ક્રાઇમમાં ધકેલી દેવાનું આ આંતરરાષ્ટ્રીય રેકેટ છે. પીડિતો પાસેથી 3થી 4 લાખ રૂપિયા પડાવતામ્યાનમારમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ખોટા ID બનાવી, ખોટા નામ બતાવી ઉપર તેમની પાસેથી સાયબર ફ્રોડ કરાવાય છે. જો કોઈ તેમ કરવાના ઇન્કાર કરે તો તેમને મારવામાં આવે છે અને ઘરે પરત ફરવા ફરવાના 3થી 4 લાખ રૂપિયા પડાવવામાં આવે છે. આરોપીઓ બેરોજગાર યુવાનોને ઊંચા પગારની લાલચ આપી જોબ ઇન્ટરવ્યૂ ગોઠવતા હતા અને અન્ય આઇપીઓ પાસેથી કમિશન મેળવતા હતા. એક ચાઈનીઝ એજન્ટ પણ આ બધા હેન્ડલિંગમાં સંકળાયેલ છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ પર ફરજ બજાવતા CISF જવાનની યુવાન પુત્રીએ માનસિક તણાવમાં આવી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્રોડ નેટવર્કમાં સંડોવાયેલી મહિલા આરોપી શ્રદ્ધા ગજભીયેના વધુ 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 24 વર્ષીય દીકરીએ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંસુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને સુરત એરપોર્ટ પર ASI તરીકે ફરજ બજાવતા મૂળ ભોપાલના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની 24 વર્ષીય પુત્રી, જે બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, તેણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હતા, છતાં પુત્રીએ અચાનક આ આત્યંતિક પગલું ભરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવતી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનની બીમારીથી પીડાતી હતી. આ બીમારીથી કંટાળીને જ તેણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. હાલ ઉમરા પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિવારના સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાક્રાઈમ સેલમાંથી મળતી વિગત મુજબ, કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં પકડાયેલી શ્રદ્ધા ગજભીયેને કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, શ્રદ્ધા જાન્યુઆરી 2025માં થાઈલેન્ડ અને કંબોડિયા ગઈ હતી, જ્યાં તેણે આંતરરાષ્ટ્રીય ઠગ નેટવર્ક સાથે મળીને ભારતીય સિમ કાર્ડ દ્વારા વોટ્સએપ કોલ અને ઇન્ટરનેટ રિચાર્જની મદદથી છેતરપિંડી આચરી હતી. આ નેટવર્કે સુરતના એક એન્જિનિયર પાસેથી જ અંદાજે 69,76,800 પડાવી લીધા હતા. પોલીસ તપાસ હવે શ્રદ્ધા અને તેના ભાઈ નીલકાંતની બે ફિનટેક કંપનીઓ, એસેસ ફિનટેક અને ટેરા ફિનટેક તરફ વળી છે. આ બંને ભાઈ-બહેન આ કંપનીઓમાં ડાયરેક્ટર છે, જે નાના લોન આપવાનું કામ કરતી હતી. પોલીસને શંકા છે કે આ કંપનીઓના બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા જ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. શ્રદ્ધા આ છેતરપિંડીના નાણાં ભાઈના ખાતામાં જમા કરાવતી અને પોતાનું કમિશન લેતી હતી. આ આંતરરાષ્ટ્રીય ગેંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, ચીન અને જર્મની જેવા દેશોના લોકોને પણ નિશાન બનાવતી હતી. સાયબર સેલ હવે રિમાન્ડ દરમિયાન બંને ફિનટેક કંપનીઓના નાણાકીય વ્યવહારો, લોન અરજીઓ અને આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ કરશે. આ તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે, જે સાયબર ક્રાઈમના નેટવર્કને તોડવામાં મદદરૂપ સાબિત થશે.સોશિયલ મીડિયા પર ખીલેલો પ્રેમ અને યુરોપના એરપોર્ટ પર પત્નીનો દગોસુરતના એક યુવાનને સોશિયલ મીડિયા મારફતે બેલ્જિયમની યુવતી સાથે પ્રેમ થયો હતો, જે બાદ બંનેએ લગ્ન કરી સુરતમાં જ પોતાનો સંસાર શરૂ કર્યો હતો. લગ્ન બાદ આ દંપતીને એક પુત્રી પણ થઈ હતી, પરંતુ પત્નીના મનમાં કઈક અલગ જ યોજના ચાલી રહી હતી. તેણે પતિની જાણ બહાર પુત્રીનો બેલ્જિયમનો પાસપોર્ટ કઢાવી લીધો હતો અને જ્યારે આ વાત પકડાઈ ત્યારે માફી માંગીને પતિનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ પત્નીએ પોતાની માતાની બીમારીનું બહાનું કાઢી પતિને યુરોપની ટ્રીપ પર લઈ ગઈ હતી. જ્યાં પ્રવાસના અંતે એરપોર્ટ પર જ પત્નીએ પોતાનું અસલી રૂપ બતાવતા પતિને ચોખ્ખું કહી દીધું હતું કે, હું અને દીકરી હવે તારી સાથે ભારત નહીં આવીએ, તું એકલો જા. આમ, ટુરિસ્ટ વિઝા પર ગયેલા પતિને પત્ની અને દીકરી વિના લાચાર બની ભારત પરત ફરવું પડ્યું હતું. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધીની લડત અને ફેમિલી કોર્ટમાં કાયદેસરની કાર્યવાહીપોતાની માસૂમ દીકરી અને પત્નીને વિદેશમાં છોડી પરત આવેલા પતિએ આ વિશ્વાસઘાત સામે ન્યાય મેળવવા માટે કાયદેસરની લડત શરૂ કરી હતી. એડવોકેટ ટીના શર્મા મારફતે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હેબિયસ કોપર્સની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે સુરતની ફેમિલી કોર્ટમાં બાળકીના કબજા માટેની અરજી સ્વીકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પત્નીએ પ્લાનિંગ મુજબ પ્રવાસ પહેલા જ પોતાના તમામ બેંક ખાતા બેલ્જિયમ ટ્રાન્સફર કરી દીધા હતા અને એરપોર્ટ પર પતિ પર હુમલો કરી સ્થાનિક પોલીસ ફરિયાદ પણ કરી હતી જેથી તે પરત ન આવી શકે. હાલ આ મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે અને પિતા પોતાની દીકરીને પરત મેળવવા માટે પ્રયત્નશીલ છે. ડીંડોલીમાં બેન્કે સીલ મારેલા ફ્લેટનું તાળું તોડી દંપતી ફરી રહેવા પહોંચ્યુંસુરતના ડીંડોલી વિસ્તારમાં લોન પેટે જપ્ત કરાયેલી મિલકત પર ગેરકાયદેસર કબ્જો જમાવવાનો કિસ્સો સામે આવ્યો છે. એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક પાસેથી 2018માં સંજય બોરસે અને હીરાબેન બોરસેએ 5.80 લાખની બિઝનેસ લોન લીધી હતી, જેની ચુકવણી ન કરતા કોર્ટના આદેશથી ઓક્ટોબર 2024માં તેમના ફ્લેટને સીલ કરવામાં આવ્યો હતો. જોકે, જુલાઈ 2025માં બેન્કના અધિકારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દંપતી બેન્કનું સીલ અને તાળાં તોડીને ફરીથી ત્યાં રહેવા માંડ્યું હતું. અધિકારીઓએ પૂછપરછ કરતા દંપતીએ ઉદ્ધત વર્તન કરી લોન ભરવાની કે કબ્જો છોડવાની ના પાડી દીધી હતી, જેના પગલે ડીંડોલી પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બેન્કની હરાજી નિષ્ફળ ગયા બાદ લોનધારકોએ કાયદાનો અનાદર કર્યોઆ ઘટનામાં બેન્કે મિલકતનો કબ્જો લીધા બાદ બે વખત તેની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ગ્રાહક ન મળતા મિલકત ખાલી પડી હતી. આ તકનો લાભ ઉઠાવીને મૂળ માલિકોએ કાયદેસરની સીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. બેન્કના રીજનલ કલેક્શન મેનેજર સતીષભાઈ પટેલની ફરિયાદ મુજબ, દંપતીએ ૨૦૨૨થી હપ્તા ભરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું અને વારંવારની નોટિસની પણ અવગણના કરી હતી. હાલ પોલીસે બેન્કની મિલકતમાં તોડફોડ કરવા અને ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં 1.85 લાખની પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે BAનો વિદ્યાર્થી ઝડપાયોસુરત પોલીસના 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન હેઠળ SOGની ટીમે સિંગણપોર-ડભોલી વિસ્તારમાંથી તેજસ બલદાણીયા નામના 20 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ધારુકા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો તેજસ 45 નંગ મોંઘી વિદેશી કંપનીઓની પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચવા માટે ઉભો હતો, જેની કિંમત અંદાજે 1.85 લાખ રૂપિયા થાય છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તે દરેક સિગારેટ પર 500થી 1000 રૂપિયા કમિશન મેળવતો હતો. અગાઉ પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હોવા છતાં નફાની લાલચે તેણે આ કામ ચાલુ રાખ્યું હતું. પોલીસે આ જથ્થો પૂરો પાડનાર જનતા માર્કેટના શફી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ બાબાભાઈ શર્મા વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં તેમની અપ્રમાણસર મિલકતોમાંથી ₹4.92 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ જપ્તીમાં વ્યાવસાયિક દુકાનો, રહેણાંક મકાનો, કૃષિ જમીન અને નડિયાદમાં આવેલા જલાશય રિસોર્ટ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે, જેમાંથી રિસોર્ટની સ્થાપના અને વિકાસ માટે પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવેલી સુરક્ષિત-અસુરક્ષિત લોનો, બેંકમાં રોકડ જમા અને ટ્રાન્સફરની પેટર્નને EDએ ક્લાસિક મની લોન્ડરિંગ તકનીક તરીકે ઓળખી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ધીરુભાઈની આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ 2006થી 2018ના ગાળામાં બનાવવામાં આવી હતી, જેમાં પરિવારના નામે લીધેલી લોનોની ચુકવણી મોટી રોકડ જમા દ્વારા કરવામાં આવી અને તેને પાછળથી લોન ચુકવણી તરીકે ટ્રાન્સફર કરવામાં આવી હતી, જ્યારે આગળની તપાસ ચાલુ છે. સુપરવાઈઝર પાસે આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ હતીએનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED અમદાવાદ ઝોનલ દ્વારા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદમાં ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબાભાઈ શર્માની અપ્રમાણસર મિલકતોની તપાસ કરીને ₹4.92 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેમાં વ્યાવસાયિક દુકાન, ઘર, કૃષિ જમીન અને નડિયાદ સ્થિત જલાશય રિસોર્ટ સહિતની મિલકતો સમાવેશ થાય છે. ધીરૂભાઇ શર્મા વિરૂદ્ધ અગાઉ એસીબીમાં પણ ફરિયાદ થઇ હતી. ગુજરાત લેન્ડ ડેલવરમેન્ટ કોર્પોરેશનના ફિલ્ડ સુપરવાઇઝર ધીરૂભાઇ શર્મા વિરૂધ્ધ આણંદ એ.સી.બી.માં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમની પાસે 8.04 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો હતી. તેમની આવક 1-4-2006 થી 31-3-2018 દરમિયાનના તેમના આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ હતી. આ પેટર્ન એક ક્લાસિક મની લોન્ડરિંગની તકનીક સૂચવે છેઇ.ડી. ની તપાસમાં જાણવા મળ્યા મુજબ ધીરુભાઇ બાબાભાઇ શર્માએ પરિવારના સભ્યો તથા મેસર્સ જલાશ્રય રિસોર્ટ પ્રા.લિ.એ સામૂહિક રીતે સુરક્ષિત/અસુરક્ષિત લોન લીધી હતી. ઈડીની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, તેમના દ્રારા લેવામાં આવેલી લોનની ચુકવણી મુખ્યત્વે વિવિધ બેંક ખાતાઓમાં રોકડ જમા દ્વારા કરવામાં આવી હતી. બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરવાને બદલે, તેમના ખાતાઓમાં મોટી માત્રામાં રોકડ જમા કરવામાં આવી હતી, જે પછી તુરત જ લોન ચુકવણી તરીકે કૃષ્ણા ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પેટર્ન એક ક્લાસિક મની લોન્ડરિંગની તકનીક સૂચવે છે, જ્યાં ગેરકાયદેસર ભંડોળ પહેલા બેંકિંગ સિસ્ટમમાં દાખલ કરવામાં આવ્યું હતું. રોકડ જમા દ્વારા અને પછી નાણાકીય જવાબદારીઓ પતાવટ કરવા માટે ઉપયોગમાં લેવાયું હતું, જેનાથી તેમના મૂળને છુપાવવામાં આવ્યું હતું. EDએ સંપતિ અંગે વધુ તપાસ હાથ ધરી છેમેસર્સ જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 1-2-2012ના રોજ ધીરુભાઈ શર્માના પુત્ર અને પત્ની દ્વારા 2007માં રૂ. 5.40 લાખમાં ખરીદેલી 52 ગુંઠા જમીન પર કરવામાં આવી હતી. રિસોર્ટને શરૂઆતમાં રૂ. 5.50 કરોડની સુરક્ષિત લોન મળી હતી અને બાદમાં 2018 માં રૂ. 7. 85 કરોડની લોન સાથે તેના ભંડોળમાં વધારો કર્યો હતો. ધીરુભાઈ શર્મા અને તેમના પરિવારે વર્ષ 2015-2020 દરમિયાન રિસોર્ટના વિકાસ માટે અસુરક્ષિત લોનના રૂપમાં રૂ. 1.19 કરોડ પણ મેળવ્યા હતા. રિસોર્ટના વિકાસ માટે ધીરુભાઈ શર્માની પુત્રવધૂનો 50 % હિસ્સો ધરાવતી મેસર્સ પ્રેયા સર્વિસીસ પાસેથી મળેલા ભંડોળ સહિત વિવિધ સ્ત્ર્રોતોમાંથી લોન, બેંક ખાતાઓમાં રોકડ જમા અને ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં ધીરુભાઈ શર્મા પાસે પોતાના અને પરિવારના સભ્યોના નામે LIC અને મેક્સ લાઈફ્ ઈન્સ્યોરન્સ પોલિસી છે અને તેમણે પ્રીમિયમની ચુકવણી રોકડમાં કરી હતી અને પાકતી મુદત પછી આ પોલિસીની રકમ તેમના વ્યક્તિગત બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને એક રૂમમાં લઇને જઇને બળજબરીપૂર્વક બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જેની સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દ્વારા પોલીસ દ્વારા બંને શખ્સની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પીડીત સગીરાનું મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સગીરા તથા યુવતીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે નવરાત્રી દરમિયાન ભાયલી વિસ્તારમાં તેના મિત્ર સાથે બેઠેલી સગીરા પરપ્રાંતિયો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેને વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યાં હતા. ત્યારબાદ વધુ એકવાર વડોદરામાં ગેંગરેપની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે દ્વારા તેમના વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને એક રૂમમાં લઇ ગયાં હતા અને સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્રણ કલાક સુધી સગીરા પર વારંવાર બે યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્રણ કલાક બાદ સગીરા ઘરે આવી હતી. ત્યારે તેના પિતાએ પૂછપરછ કરતા તેની સાથે બે જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાની જણાવ્યું હતું. પોલીસે બંન્ને ઝડપી પાડ્યા છે. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષની દીકરી ઘરેથી નીકળી હતી ત્યારે બે યુવકો દ્વારા તેને એક રૂમમાં લઇ જઇને તેના સાથે સામહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણ કલાક સુધી સગીરાને બે યુવકો સગીરાના પીખતા રહ્યાં હતા. ત્યારબાદ સગીરા ગભરાઇને બહાર આવી ઘરે પહોચી હતી. જેથી અમે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મારી દીકરી સાથે થયું એ બીજી કોઈ દિકરી સાથે ન થાય એવો દાખલો બેસાડવો જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. ફતેગંજ પોલીસ દ્વારા બે આરોપી પૈકીને એકને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ફરાર હોય તેની શોધખોળ શરૂ કરાઇ છે. ફતેગંજ પોલીસ દ્વારા ભોગ બનનાર 14 વર્ષની સગીરાને મેડિકલ કરાવવા માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સામાજિક કાર્યકરો પણ પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં પહેંચ્યા હતાં. જ્યાં તેઓએ આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી અને પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી.
મોરબી જિલ્લામાં ત્રણ યુવાનોના મોત:ઝેરી દવા, અકસ્માત અને અજાણી લાશ: પોલીસે તપાસ શરૂ કરી
મોરબી જિલ્લામાં જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ યુવાનોના મોત થયા છે. માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મકનસર ગામ પાસે વાહન અકસ્માતમાં અન્ય એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટંકારાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે ત્રણેય બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે પરપ્રાંતિય યુવકે ઝેરી દવા પીધીપ્રથમ બનાવમાં, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે પ્રભાતભાઈ આહીરની વાડીએ મજૂરી કરતો નરસીભાઈ ભેરુભાઇ વસુનિયા (ઉં.વ. 38) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો. તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે માળીયા તાલુકા પોલીસે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મકનસર ગામ પાસે અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોતબીજા બનાવમાં, મોરબીના મકનસર ગામ પાસે એપેક્ષ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો હરિકૃષ્ણ પ્રમોદ ઘેના (ઉં.વ. 32) નામનો યુવાન ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં મકનસર ગામ નજીક વાહન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. વાંકાનેરના ભીમગુડા ગામનો યુવાન ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે મૃત હાલતમાં મળી આવ્યોત્રીજા બનાવમાં, મૂળ વાંકાનેરના ભીમગુડા ગામનો અને હાલ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રખડતું-ભટકતું જીવન જીવતો કિશોરભાઈ અલૂભાઇ આંકરિયા (ઉં.વ. 35) નામનો યુવાન ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે અવેડાની બાજુમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ શંકરભાઈ અલૂભાઇ આંકરિયા (ઉં.વ. 37, રહે. કડીયાણા, તા. હળવદ) ને જાણ કરવામાં આવી હતી. ટંકારા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરીયાદીની 13 વર્ષની દીકરીને વાલીપણામાથી કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી ગયો હતો જે અંગેની તપાસ બી ડિવીઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બાદમાં તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપતા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સના આધારે તપાસ કરી ભોગ બનનાર તથા આરોપી સાયલા ખાતે હોવાની માહીતી મળતા ભોગબનનાર બાળકી તથા તેમની સાથે એક શખ્સને પકડી બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે તેના પિતાનું અવસાન થતાં માતાએ અન્ય પુરુષ સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરા પણ તેમની સાથે રહેતી હતી પરંતુ માતાના ત્રાસથી કંટાળી સગીરા તેના નવા પિતાના 20 વર્ષીય ભાઈ સાથે ભાગી સાયલા મજૂરીકામ કરવા લાગ્યાં હતા. હાલ પોલીસે સગીરાનું મેડિકલ કરાવવા તજવીજ હાથ ધરી છે. જો સગીરા સાથે ગેરકાયદેસર કૃત્ય થયું હશે તો દુષ્કર્મની કલમ પણ ઉમેરવામાં આવશે. પાણીના ટાંકામાં પડી જતા એક વર્ષના બાળકનું મોત રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રામવન પાસે મુકેશપાર્ક શેરી નંબર 1માં રહેતા ભરતભાઈ મુંધવાનો 2 વર્ષનો દીકરો હિરેન ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પાણીના ટાંકામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હિરેનના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ હિરેન ન દેખાતા તેમના માતાને એમ થયું કે, કાકા હિરેનને રમાડતા હશે. થોડી વાર બાદ માતાએ કાકાને એકલા જોતા પૂછ્યું કે હિરેન ક્યાં છે? કાકાએ કહ્યું કે અહીં મારી પાસે નથી. જેથી બંનેએ તુરંત ઘરમાં હિરેનને શોધ્યો પણ મળ્યો ન હતો પછી ઘર બહાર શોધખોળ કરતા પાણીના ટાંકામાંથી બેભાન મળી આવ્યો હતો. હિરેન તેના માતા પિતાનું એકનું એક સંતાન હતો જેના મોતથી પરિવારમાં શોક છવાયો છે. પતંગ ચગાવતી વખતે ત્રીજા માળેથી બાળક પટકાયો મુળ કાનપુર રહેતો આદિત્ય રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.9) નામનો બાળક તેના પિતા રાજકોટમાં ગોકુલધામ કવાર્ટરમાં રહેતા હોય ત્યા આટો મારવા આવ્યો હતો. દરમિયાન આજે સવારે 10 વાગ્યાના આસપાસ કવાર્ટરની અગાસી ઉપર પતંગ ઉડાડતો હતો ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આદિત્ય અને તેના માતા કાનપુર રહે છે અને આદિત્ય એક ભાઇ એક બહેનમાં મોટો અને ધો.2માં અભ્યાસ કરે છે. તેના પિતા રાજકોટમાં ગોકુલધામ રહી ડેરીમાં નોકરી કરે છે. ઉતરાયણનો તહેવાર આવતો હોવાથી આદિત્ય તેની માતા સાથે રાજકોટ પિતાના ઘરે આટો મારવા માટે આવ્યા હતા અને આજે અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે આ બનાવ બન્યો હતો. સાયબર ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા એઓપીની ધરપકડ પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ ત્રણ ગુના અને રાજસ્થાનના કરોલી સાયબર પોલીસ સેશનમાં નોંધાયેલ એક ગુના મળી કુલ ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી ધ્રુવરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (ઉ.વ.27)ને ઝડપી લઇ સાયબર ક્રાઇમ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ શખ્સે મવડીના એમ.આર હાર્દિક ઉમરાણીયાનો સોશિયલ મીડિયા મારફત સંપર્ક કરી યુએસડીટીમાં રોકાણ કરી આકર્ષક વળતર મેળવવાની લાલચ આપી રૂ.31.54 લાખનો પડાવ્યા હતા. આ ઉપરાંત આરોપી સામે સાયબર ફ્રોડના નાણાં અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કરવા મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુના પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
રાણાવાવ પોલીસે ₹36,000નો મુદ્દામાલ પરત કર્યો:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને સોંપાયો
પોરબંદર જિલ્લામાં રાણાવાવ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુનાના કામે જપ્ત કરાયેલ ₹36,000 નો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કર્યો છે. આ કામગીરી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ મુદ્દામાલમાં કલમ BNS 6.305(સી) અને 54 હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલી ટ્રકની 6 એક્સલનો સમાવેશ થાય છે. નામદાર કોર્ટના આદેશ અનુસાર આ એક્સલ મૂળ માલિકને સોંપવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.ડી. સિસોદિયા સહિતના સ્ટાફે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જિલ્લા પોલીસ વડાની આ પહેલનો ઉદ્દેશ્ય ગુનામાં જપ્ત કરાયેલ મુદ્દામાલ કાયદેસર પ્રક્રિયા બાદ મૂળ માલિકોને પરત કરીને લોકોમાં વિશ્વાસ સ્થાપિત કરવાનો છે. આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગાંધીનગર નજીક આવેલા ગિયોડ ગામમાં તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે. વાવોલ ખાતે રહેતા નાયબ મામલતદારના નિવૃત પિતાના ગિયોડ સ્થિત બંધ મકાનના તાળા તોડી તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.5.25 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ જતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાયબ મામલતદારના વતન ગિયોડમાં બે બંધ મકાનમાં ચોરીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ ગિયોડના વતની અને હાલ ગાંધીનગરના વાવોલ ગામમાં અંબિકા રેસિડેન્સીમાં નિવૃત જીવન ગુજારતા ભીમજીભાઈ મોતીભાઈ પટેલના ગિયોડમાં બે મકાન આવેલા છે. જેમના પુત્ર નાયબ મામલતદાર છે. ગત તા. 7 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે તેમના પિતરાઈ ભાઈ ગાભુભાઈ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે, ગિયોડવાળા મકાનના લોક તૂટેલા છે અને દરવાજા ખુલ્લા છે. લાકડાના દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યાઆથી ભીમજીભાઈ અને તેમનો પુત્ર કૌશલભાઈ તાત્કાલિક ગામડે દોડી આવ્યા હતા. બાદમાં મકાનમાં તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, લોખંડની જાળી અને મુખ્ય લાકડાના દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ઘરના ઓરડામાં રાખેલી લોખંડની તિજોરીનું લોક તોડી અંદરના કપડાં વેરવિખેર કરી દેવાયા હતા. રાણી છાપના સિક્કા સહિત 5 લાખની મત્તા સાફબાદમાં તિજોરીમાંથી સોનાની ચેચણ, સોનાની ચેઈન, કાનની બુટ્ટી તેમજ ચાંદીનો કંદોરો, પગની સેર અને 9 જેટલા જુના રાણીછાપ સિક્કા, 17 હજારથી વધુની રોકડ મળીને કુલ રૂ.5.25 લાખથી વધુની મત્તા તસ્કરો ચોરી ગયા હતા. ભીમજીભાઈની ફરિયાદ મુજબ, તા. 6 જાન્યુઆરીની સાંજથી તા. 7 જાન્યુઆરીની સવાર દરમિયાન કોઈ પણ સમયે તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. જ્યારે તેમના બીજા મકાનમાં કોઈ કિંમતી ચીજવસ્તુ ન રાખી હોવાથી ત્યાંથી કોઈ ચોરી થઈ નથી. હાલમાં પોલીસે અજાણ્યા ચોર શખસો વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આજે સાંજના સમયે એક ઘટના સામે આવી છે. શહેરના હુસેની ચોક વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ અચાનક ધરાશાયી થતાં સાયકલ લઈને નીકળેલા એક 15 વર્ષીય કિશોરનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મુસ્લિમ સમાજ સહિત સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 100 વર્ષનું ઝાડ ધરાશાયી થતા કિશોર દબાયોવિજાપુરની આસિયાના સોસાયટીમાં રહેતો 15 વર્ષીય કિશોર મોહમદ યાસીન આજે ગુરુવારની સાંજે સાતેક વાગ્યાના સુમારે પોતાની સાયકલ લઈને ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. તે જ્યારે હુસેની ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક અંદાજે 100 વર્ષ જૂનું વિશાળ વડનું ઝાડ તેની ઉપર પડ્યું હતું. ઝાડ એટલું વિશાળ હતું કે કિશોર તેની નીચે સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. સ્થાનિક રહીશ સૈયદ તનજીલ અલીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અડધા કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કઢાયોઘટનાની જાણ થતા જ વિજાપુર નગરપાલિકાનું તંત્ર અને જેસીબી મશીન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો અને તંત્રની ભારે જહેમત બાદ અંદાજે 30 મિનિટ પછી બાળકને ઝાડ નીચેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગંભીર હાલતમાં કિશોરને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામની વેદાંતા સોસાયટીમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. આ ઘટનામાં ચાર અજાણ્યા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરો રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે આશરે અઢી વાગ્યાના સુમારે ચાર વ્યક્તિઓ મોઢા પર રૂમાલ અને મફલર બાંધીને સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમના હાથમાં હથોડી અને સળિયા જેવા સાધનો હતા. તેઓએ એક બંધ ફ્લેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જે ફ્લેટમાં ચોરી થઈ હતી તેના માલિક છેલ્લા ત્રણ દિવસથી બહારગામ હતા. સવારે સોસાયટીના અન્ય રહેવાસીઓએ ફ્લેટનું તૂટેલું તાળું જોતાં તરત જ ફ્લેટ માલિક અને નરોલી પોલીસને જાણ કરી હતી. ફ્લેટ માલિક ઘરે પરત ફર્યા બાદ તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂ. 10,000 અને સોનાનું મંગળસૂત્ર સહિત કુલ અંદાજે રૂ. 1.50 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીના ઇરાદે સોસાયટીમાં પ્રવેશતા ચાર શખ્સો સ્પષ્ટપણે દેખાયા હતા. આ ઘટના અંગે નરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે.
સુરતમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધા તાજેતરમાં એક ભયાનક સાયબર ફ્રોડનો શિકાર બનતા રહી ગયા હતા. સાયબર ઠગોએ તેમને ફોન કરીને જણાવ્યું કે, જેટ એરવેઝના 534 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કૌભાંડમાં તેમનું નામ આવ્યું છે. તપાસ એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઠિયાઓએ વૃદ્ધાને ડરાવ્યા હતા કે તેમના નામે ખોટા બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે. આ ડરના કારણે વૃદ્ધા સોમવારથી બુધવાર સુધી પોતાના જ ઘરમાં 'ડિજિટલ અરેસ્ટ' રહ્યા હતા, જેમાં ઠગો તેમને સતત વીડિયો કોલ અને ફોન દ્વારા નજરકેદ રાખતા હતા. આ છેતરપિંડીમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ઠગોએ તેમની મિલકત અને સોનાની વિગતો કઢાવી લીધી હતી. જ્યારે વૃદ્ધાએ જણાવ્યું કે તેમની પાસે 50 તોલા સોનું છે, ત્યારે ઠગોએ તેમને બેંકમાં જઈને આ સોનું ગીરો મૂકી તેના પર લોન લેવા અને તે પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. બેંક મેનેજરે લોન આપવાનો ઇનકાર કરતા ઠગોનો પ્લાન નિષ્ફળસાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈનના જણાવ્યા અનુસાર, સોનાના દાગીના ગીરો મુકાવી લોન લેવડાવવાનો આવો કિસ્સો પ્રથમ વખત સામે આવ્યો છે. સદનસીબે, બેંક મેનેજરે લોન આપવાનો ઇનકાર કરતા ઠગોનો આ પ્લાન નિષ્ફળ ગયો હતો. માનસિક તણાવમાંથી પસાર થતા વૃદ્ધાને દીકરાએ બચાવ્યાવૃદ્ધા જ્યારે આ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને ગુરુવારે અમેરિકા રહેતા તેમના પુત્રને ફોન કરીને આખી ઘટના જણાવી હતી. પુત્રએ તરત જ આ સાયબર ફ્રોડ હોવાનું ઓળખી લીધું અને તેની માતાને તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું. પુત્રની સમયસૂચકતા અને માર્ગદર્શનને કારણે વૃદ્ધા મોટી આર્થિક નુકસાનીમાંથી બચી ગયા હતા. જો પુત્રએ સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત, તો 50 તોલા સોનાની કિંમત જેટલી મોટી રકમ ઠગો પડાવી લેતા. વિદેશ યાત્રાની ડિટેઇલના આધારે વૃદ્ધાને ટાર્ગેટ કર્યાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સંગીતાબેન છ મહિના પહેલા જ અમેરિકામાં પુત્ર પાસે ગયા હતા અને ત્યાંની વિગતો સોશિયલ મીડિયા પર અપડેટ કરતા રહેતા હતા. સાયબર ગુનેગારોએ તેમની આ ઓનલાઇન એક્ટિવિટી અને વિદેશ પ્રવાસ પર નજર રાખીને જ તેમને ટાર્ગેટ કર્યા હતા. ઠગોએ તેમને એવી રીતે ફસાવ્યા હતા કે તેમને લાગ્યું કે તેઓ ખરેખર કોઈ કાયદાકીય તપાસમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર અંગત વિગતો શેર કરવી કેટલી જોખમી બની શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. અન્ય લોકોને આવા 'ડિજિટલ અરેસ્ટ'થી સાવધ રહેવા સૂચનહાલમાં સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી બિશાખા જૈને અપીલ કરી છે કે વડીલોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે અને કોઈપણ અજાણ્યા કોલ દ્વારા નાણાકીય વ્યવહાર કે પ્રોપર્ટીની વિગતો આપવી જોઈએ નહીં. સંગીતાબેને પણ પોતાની આપવીતી જણાવી અન્ય લોકોને આવા 'ડિજિટલ અરેસ્ટ'થી સાવધ રહેવા અને મુશ્કેલીના સમયે પરિવારના સભ્યો કે પોલીસની મદદ લેવા સૂચન કર્યું છે.
જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત ચિન્મય મિશન ગૌરવપૂર્ણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને વિશ્વભરનાં 350થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે. વેદ, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનને સરળ અને સ્પષ્ટ રૂપે જન-જન સુધી પહોંચાડવા માટે સ્વામી ચિન્મયાનંદજીએ પોતાના જીવનકાળ દરમિયાન 500થી વધુ જ્ઞાનયજ્ઞોનું આયોજન કર્યું. આ અમૂલ્ય આધ્યાત્મિક યાત્રાને કૃતજ્ઞતા અર્પણ કરવા ચિન્મય અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા “ગીતા વંદના” નામે એક વિશિષ્ટ અને આત્મસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.11મી જાન્યુઆરીના રોજ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. બે કલાકનો આ કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહેશે. તેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોકોમાંથી અમૃત સમાન પાંચ શ્લોકો — ‘ગીતા પંચામૃત’ને આધાર બનાવી ભાવસભર સંગીતમય નૃત્યપ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ હૃદયસ્પર્શી પ્રસ્તુતિ દ્વારા ગીતાના શાશ્વત સંદેશને આજના જીવન સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક ભાવનાનો સુમેળભર્યો સંગમ જોવા મળશે. આ સાથે ચિન્મય મિશન બાલવિહારનાં બાળકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, જે બાળકોમાં સંસ્કાર, ભક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ક્ષમતાના વિકાસનું સુંદર પ્રતિબિંબ બની રહેશે. આ ભવ્ય કાર્યક્રમનું શિખરબિંદુ રહેશે ગીતા મહાઆરતી, જેમાં દરેક હાજર વ્યક્તિ ભાવપૂર્વક સહભાગી બની શકશે. તે સાથે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથનું શોભાયાત્રા દ્વારા ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે 1000થી વધુ લોકો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવશે, જે સમગ્ર વાતાવરણને દિવ્ય આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કરી દેશે. ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જોડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર છે.
ઉમરગામ નગરપાલિકાએ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં દુકાનો અને વ્યાવસાયિક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, કેટલાક વેપારીઓ તેમની દુકાનોમાં ગુપ્ત રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા જોવા મળ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નગરપાલિકાના નિયમો અનુસાર તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકાએ વેપારીઓને ભવિષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા માટે કડક સૂચના આપી હતી. નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.
સંઘ પ્રદેશ દમણના નાની દમણમાં આવેલા વિકાસ આર્કેડ બિલ્ડીંગ સામે દમણ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી જાહેરમાં ગંદકી ફેલાવવા અને ગંદુ પાણી રસ્તા પર વહેવડાવવા બદલ બિલ્ડીંગનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. આ કાર્યવાહી ચીફ ઓફિસર સંજામ સિંહના આદેશ બાદ કરવામાં આવી હતી. નાની દમણના જૂના પોલીસ મથકની સામે આવેલા આ બિલ્ડીંગ દ્વારા કચરો જાહેરમાં ફેંકવામાં આવતો હતો અને લાઇન લિકેજના કારણે ગંદુ પાણી રસ્તા પર વહેતું હતું. આના કારણે આસપાસના રહીશોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાવવાની દહેશત હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દમણ નગરપાલિકાએ ગત 28 નવેમ્બર, 2024ના રોજ બિલ્ડીંગના સભ્યોને નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં ગંદકી અટકાવવા અને જર્જરિત પાઇપલાઇનનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જોકે, બિલ્ડીંગના સદસ્યો દ્વારા પાલિકાની નોટિસની ગંભીર અવગણના કરવામાં આવી હતી અને જરૂરી સમારકામ કરવામાં આવ્યું ન હતું. આખરે, ચીફ ઓફિસર સંજામ સિંહના આદેશ અનુસાર, પાલિકાના સ્ટાફ, ઇલેક્ટ્રિશ્યન અને સુપરવાઈઝરની ટીમે સ્થળ પર પહોંચી વિકાસ આર્કેડ બિલ્ડીંગનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બિલ્ડીંગ સામે પાલિકા દ્વારા કરવામાં આવેલી આ દાખલારૂપ કાર્યવાહીને પગલે અન્ય સોસાયટીઓના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:બે આરોપી ઝડપાયા, રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રેલવે ગોદી રોડ પરથી રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બે ઈસમો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ગોદી રોડ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 216 બોટલ મળી આવી હતી. પોલીસે ₹42,000નો દારૂ, ₹50,000ની રિક્ષા અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ત્રણ કુવા ફાટક,અમન રેસિડેન્સી ખાતે રહેતા સહેજાદ ઈમ્તિયાઝ શેખ અને શરીફ નવાજ મહેબુબમિયા મલેકને ઝડપી પાડ્યા છે. દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત અન્ય બે ઈસમો ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
નવસારી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન યાત્રા'નું આયોજન કરાયું હતું. ભગવાન બિરસા મુંડા સર્કલથી જૂના થાણા સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવાનો અને રાજકીય પરિવર્તન લાવવાનો હતો. આ તકે સાસંદોની સંપત્તિમાં તોતિંગ વધારા મુદ્દે ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર કર્યાં હતા. પરિવર્તન યાત્રામાં AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી દ્વારા AAPએ નવસારીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. રેલી દરમિયાન, નેતાઓએ નવસારીના પાયાના પ્રશ્નો જેવા કે પીવાના પાણીની અનિયમિતતા, ગટર વ્યવસ્થાની કથળતી સ્થિતિ, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનો અભાવ, તથા દારૂબંધીના કાયદાના અમલને લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, નવસારીમાં ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધી ભાજપનું શાસન હોવા છતાં જનતા સામાન્ય સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપે ખેડૂતો અને ગરીબોની આવક વધારવાના વાયદા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં ગરીબ વધુ ગરીબ બન્યો છે અને ભાજપના નેતાઓ-સાંસદો માલામાલ થયા છે. ઇટાલિયાએ ઉમેર્યું કે, વિસાવદરથી શરૂ થયેલું પરિવર્તન હવે નવસારી સુધી પહોંચશે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ સી.આર. પાટીલને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશના જળ શક્તિ મંત્રી અહીંના સાંસદ હોવા છતાં લોકોને 4-5 દિવસે પાણી મળે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ગઢવીએ આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓએ વિકાસના નામે માત્ર પોતાનો અને પોતાના પરિવારનો જ વિકાસ કર્યો છે. પ્રજાની સંપત્તિમાં કોઈ વધારો થયો નથી, પરંતુ નેતાઓની મિલકતો અનેકગણી વધી ગઈ છે.
ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ તાજેતરમાં યોજાયો આ પ્રસંગે સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયેલા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પરંતુ, સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, આજની પેઢી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેકનોલોજીનું બળ ઉપલબ્ધ છે ત્યારે યુવાનોએ માત્ર 'જોબ સીકર' બનવાને બદલે 'જોબ ક્રિએટર' બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશેઆ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના અધ્યક્ષ ડો. વી. નારાયણે વિદ્યાર્થીઓને 'નિરંતર શીખતા રહેવા'નો મંત્ર આપ્યો હતો. તેમણે ભારતની સાયકલથી લઈને ચંદ્રયાન-3 સુધીની સફરનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. તેમણે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના સૂત્ર દ્વારા પ્રોત્સાહિત કરતા કહ્યું કે, જે સ્નાતક પદવી મેળવ્યા બાદ શીખવાનું બંધ કરી દે છે તે લાંબો સમય શિક્ષિત રહી શકતો નથી. તેમણે સફળતા માટે ટીમવર્ક અને ઉમદા ચારિત્ર્યને અનિવાર્ય ગણાવ્યા હતા. ટેકનોલોજીના યુગમાં જ્ઞાન એઆઈથી મળી શકે છે પણ માનવીય મૂલ્યો નહીંયુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે કહ્યું કે 26 વર્ષ પહેલા જ્યાં માત્ર બાવળો હતા, આજે ત્યાં હજારો સ્નાતકો તૈયાર થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજીના યુગમાં જ્ઞાન એઆઈથી મળી શકે છે, પણ માનવીય મૂલ્યો અને ચારિત્ર્યનો કોઈ વિકલ્પ નથી. આ તકે અશોક ચૌધરીએ પણ વિદ્યાર્થીઓને માતૃભૂમિ અને સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવા અને વડાપ્રધાનના 'વિકસિત ભારત 2047'ના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું હતું. સૌથી વધુ 2629 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે પદવી પ્રાપ્ત કરી હતીઆ 19માં પદવીદાન સમારોહમાં કુલ 4721 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 3520 વિદ્યાર્થીઓ અને 1199 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જેમાં 101 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 32 સંશોધકોને પીએચડીની પદવી એનાયત કરાઈ હતી. સૌથી વધુ 2629 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે પદવી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે કોફી ટેબલ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળની ખોરાક શાખાએ મ્યુનિસિપલ કમિશનરની સૂચના તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો તથા ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ આકસ્મિક તપાસ હાથ ધરી છે. જેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. 13,200 કિલો મીઠાઈના જથ્થાનો નાશખોરાક શાખાની ટીમે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ લવ્લી સ્વીટ નામની ખાદ્ય ઉત્પાદન યુનિટમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ તારીખવાળી મીઠાઈઓ મળી આવી હતી. જેમાં કન્ફેક્શનરી પેડા આશરે 8000 કિલો, કતરી આશરે 700 કિલો, બરફી આશરે 2500 કિલો, લાડુ આશરે 700 કિલો તથા અન્ય ફેન્સી મીઠાઈઓ આશરે 1300 કિલો સહિત કુલ અંદાજે 13200 કિલો મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 7,50,000 આંકવામાં આવી છે. આ તમામ એક્સપાયર્ડ મીઠાઈઓનો જથ્થો જામ્બુવા લેન્ડફિલિંગ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવ્યો છે. ખાદ્યપદાર્થોના 26 યુનિટોમાં આકસ્મિક તપાસઆ ઉપરાંત શહેરના વારસિયા, નરસિંહ ટેકરી, તિવારીની ચાલ, ફતેપુરા, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલી 26 યુનિટોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અખાદ્ય અને અસ્વચ્છ ગણાતા 50 લીટર પાણીપુરીનું પાણી, 60 કિલો બટાકા, 4 કિલો બાફેલા ચણા તથા 3 કિલો સફેદ બાફેલા વટાણાનો નાશ કરવામાં આવ્યો હતો. લાઈસન્સ વગર જથ્થો સંગ્રહ કર્યાની ફરિયાદ નોંધાશેમહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર વિરોનિકાબેને જણાવ્યું કે, ખોડિયારનગર વિસ્તારમાં આજે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ દુકાનદાર પોતાની દુકાનમાં વસ્તુ બનાવીને સંગ્રહ કરેલ હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. છતાં ત્યાંથી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે જેનો નાશ કર્યો છે. આગામી સમયમાં આવી કાર્યવાહી અમે કરતા રહીશું.
આજે આપણે જે વાત કરવાના છીએ એ સુરતના હીરાના કારખાનામાં બેઠેલા રત્નકલાકારથી લઈને મુન્દ્રા પોર્ટ પર જહાજોની અવરજવર જોતા શિપિંગ એજન્ટ અને તમામ ગુજરાતીઓને આડકતરી રીતે અસર કરવાની છે. કારણ કે આજનો વિષય આપણા ખિસ્સા અને ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનના વિસ્તાર બલૂચિસ્તાનના લીડરે ભારતને એક પત્ર લખ્યો છે જેમાં તેણે ભારતની અને ઓપરેશન સિંદૂરના ભરપેટ વખાણ કર્યા છે અને પાકિસ્તાનને ઉખાડી ફેંકવાની વાત કરી છે. અધૂરામાં પૂરું આજે સમાચાર આવ્યા છે કે આ જ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું હતું અને 60 વખત અમેરિકા આગળ ભીખ માગી હતી કે ભારતને કહો ઓપરેશન સિંદૂર રોકે. વાત કરીએ શું થયું હતું અને બલૂચિસ્તાન કેમ ભારતના વખાણ કરી રહ્યું છે અને પોતાના જ દેશને ગાળો ભાંડી રહ્યું છે. નમસ્કાર... આપણે ગુજરાતીઓ ધંધાદારી માણસો છીએ. આ સિવાય બજારની હલચલ પણ નજર રાખતા હોઈએ છીએ. હાલ અરબી સમુદ્રનાં મોજાં એક નવો ઈતિહાસ લખવાં જઈ રહ્યાં છે કારણ કે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટી હલચલ થઈ રહી છે. થયું કંઈક એવું કે ડિસેમ્બરના અંતમાં પાકિસ્તાનના બલોચ નેતા મીર યાર બલોચે ભારતને પત્ર લખીને ધમાકો કર્યો. આ સામાન્ય કાગળ ન હતો પણ પાકિસ્તાનના મૃત્યુઘંટનો રણકો હતો. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જો ભારત નહીં જાગે તો પાકિસ્તાનનાં ગ્વાદર બંદર પર ચીનની સેનાનાં બૂટના અવાજ સંભળાશે. જો આવું થાય તો તેની સીધી અસર ઓખા, પોરબંદર અને વેરાવળના માછીમારો પર પડશે. આ ગુજરાત અને ભારત માટે એક રેડ એલર્ટ સિચ્યુએશન છે. આપણે જે બલૂચિસ્તાનની વાત કરી રહ્યા છીએ એ શું છે અને ક્યાં આવેલું છે એ પણ જાણીએ પાકિસ્તાનના ચાર પ્રાંત છે, જેમાં સૌથી મોટો બલૂચિસ્તાન છે. દેશની 44 ટકા જમીન આ પ્રાંતમાં છે. પણ અહીંની વસતી 1.5 કરોડ એટલે કે કુલ વસતીના માત્ર 5 ટકા છે. તેની સરહદ ઇરાન અને અફઘાન સાથે જોડાયેલી છે. આ પ્રાંત કોલસો, તાંબુ, સોનું અને યુરેનિયમનો ભંડાર છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો સમજાય છે કે બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવા માંગતું નહોતું. 11 ઓગસ્ટ, 1947ના રોજ બલુચિસ્તાન (ત્યારે કલાત સ્ટેટ) આઝાદ હતું. પરંતુ 27 માર્ચ, 1948ના રોજ પાકિસ્તાની સેનાએ બળજબરીથી અને છેતરપિંડીથી તેના પર કબજો કર્યો. છેલ્લા 79 વર્ષથી બલોચ પ્રજા આ ગુલામી વિરુદ્ધ લડી રહી છે. 1998માં પાકિસ્તાને બલુચિસ્તાનના ચાગાઈ પહાડોમાં જે પરમાણુ પરીક્ષણો કર્યા, તેની કિરણોત્સર્ગી અસર આજે પણ ત્યાંના બાળકોમાં ખોડખાપણ રૂપે જોવા મળે છે. હવે જાણીએ મીર યાર બલોચ વિશે જેણે ભારતની મદદ માગી છે અને પાકિસ્તાનને મૂળથી ઉખાડી ફેંકવાની વાત કહી છે. હવે જાણીએ કે ભારત, વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરને મીર બલોચે લખેલા ખુલ્લા પત્રની પાંચ મોટી વાત શું છે. મીર બલોચના પત્રને બીટવીન ધ લાઈન્સ સમજીએ તો આખી વાર્તામાં પાકિસ્તાન તો માત્ર એક પ્યાદું છે. અસલી માસ્ટરમાઇન્ડ તો ચીન છે. ચીનનો ઈરાદો સ્પષ્ટ છે. પાકિસ્તાનને દેવાના બોજ હેઠળ એટલું દબાવી દેવું કે તે પોતાની જમીન ચીની સેનાને સોંપી દે. CPEC એટલે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર હવે આર્થિક પ્રોજેક્ટ નથી રહ્યો, પણ ભારતને ઘેરવાની એક લશ્કરી જાળ બની ગઈ છે. અરબ સાગરના કિનારે આવેલું પાકિસ્તાનનું ગ્વાદર બંદર હવે ચીનનું પશ્ચિમી મોરચો બનવા જઈ રહ્યું છે. મીર બલોચે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે તેની વાત કરીએ તો એપ્રિલમાં કાશ્મીર વિસ્તારના પહેલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીયોના માથા પર ગોળીઓ મારી હતી. ભારત ગિન્નાયુ અને 6-7 મેના દુનિયા સૂતી હતી ત્યારે પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેની આતંકી ફેક્ટરીઓ પર રાફેલ અને સુખોઈ ઉડાવ્યા અને ભારતની સરહદ નજીકના આતંકીઓના ચીંથરાં ઉડાવી ચાર દિવસમાં સરહદી સંઘર્ષ જીતી લીધો. આ બધી વિગતો આપણે જાણીએ છીએ પણ જે નથી જાણતા તે હવે સામે આવી છે. ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર લોંચ કર્યું ત્યારે પાકિસ્તાને 60 વાર અમેરિકાના ટોચના વહીવટી અધિકારીઓ, સાંસદો, પેન્ટાગોન અને વિદેશ વિભાગના અધિકારીઓ પાસે ભારતને રોકવા ભીખ માગી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને લિટરલી ક્રાઈસિસ લોબિંગ શરૂ કરી હતી. પાકિસ્તાન કોઈપણ રીતે ભારત પર અમેરિકાનું દબાણ બનાવીને યુદ્ધ રોકવા માંગતું હતું. તેણે ટ્રમ્પ પ્રશાસન સુધી ઝડપથી પહોંચ બનાવવા, વેપાર અને રાજદ્વારી નિર્ણયોને પ્રભાવિત કરવા માટે 6 લોબિંગ ફર્મ્સ પર લગભગ ₹45 કરોડ ખર્ચ કર્યા હતા. અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજીસ્ટ્રેશન એક્ટ એટલે કે FARAના લેટેસ્ટ રિપોર્ટ મુજબ પાકિસ્તાને અમેરિકાને ઓફર આપી કે અમને ભારતથી બચાવો અને બદલામાં અમારા લિથિયમ અને કોપરના ભંડારોની સપ્લાય ચેઈનમાં હિસ્સો લઈ જાવ. એક રીતે અમેરિકાએ ભારતથી બચવા અમેરિકાને પોતાનું સાર્વભૌમત્વ વેચી દીધું. આ મામલે ભારતે પણ દુનિયા સામે પોતાની વાત મજબુતાઈથી રાખવા અમેરિકામાં ખૂબ લોબિંગ કર્યું હતું. અમેરિકન લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC મુજબ10 મેના રોજ આ ફર્મે ભારતીય દૂતાવાસ વતી વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સૂસી વાઇલ્સ, અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના રિકી ગિલ સાથે સંપર્ક કરાવવામાં મદદ કરી હતી. લોબિંગ એટલે એક કાયદેસર પ્રક્રિયા જેમાં વ્યક્તિઓ, કંપનીઓ અથવા કોઈ વિદેશી સરકારો અમેરિકન સરકારના નિર્ણયો, કાયદાઓ અથવા તો નીતિઓમાં પોતાની વાતનો ભાર રાખવાનો પ્રયત્ન કરે. અમેરિકામાં લોબિંગ એટલે વિશ્વમાં પોતાની વાત મજબુતીથી મૂકવી. આ ઓપરેશનની વાત આવે અને ચીનની વાત ન આવે એવું બને નહીં. ચીને પાકિસ્તાનને CEPC પ્રોજેક્ટ માટે 62 બિલિયન ડોલર આપ્યા છે. જેનું વ્યાજ પાકિસ્તાનના કૂલ બજેટ કરતા પણ વધારે છે. એટલે ચીન હવે લોનના બદલે જમીનની નીતિ અપનાવશે. અમેરિકા સહિત યુરોપ ભારતને સતત સુફિયાણી સલાહો આપતું રહ્યું છે કે ભારતે પાકિસ્તાનના આંતરિક મામલામાં ન પડવું જોઈએ. યુદ્ધ થાય તો ભારતનું જ અર્થતંત્ર બગડશે. પણ આ જ વાત 1971માં પણ બીજા દેશો કહેતા હતા. જો આપણે પાકિસ્તાનના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કર્યો હોત તો ત્યારનું પૂર્વ પાકિસ્તાન અને આજનું બાંગ્લાદેશ આતંકવાદની મોટી ફેક્ટરી બની ગયું હોત. માટે આજે બલુચિસ્તાનની મદદ બાદ આપણે તેને પાકિસ્તાન સામે લડવા ટેકો નહીં આપીએ તો આવનાર સમયમાં ચીની નૌકાદળ ગ્વાદરમાં અને ચીની આર્મી પાકિસ્તાનમાં બેસીને ભારત સામે જ ફેણ ઉગામશે. ભારત બલુચની મદદ કરે તો તે હસ્તક્ષેપ નહીં પણ રશિયાએ યુક્રેન સાથે જે કર્યું તેવું આત્મરક્ષણ હશે. વોશિંગ્ટનમાં રિકી ગીલની એક ફાઈલ પરની સહી, રાવલપિંડીમાં પાકિસ્તાની જનરલનો ગભરાટ અને બલુચિસ્તાનના પહાડોમાં મીર યાર બલોચનો પત્ર આ બધું એકસાથે મળીને ભારત અને ગુજરાતના શેરબજારમાં અસર કરી શકે છે. જો ભવિષ્યમાં પાકિસ્તાનના ગ્વાદરમાં અશાંતિ વધશે, તો ઓઈલના જહાજોના રૂટ બદલાશે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. વિદેશ નિષ્ણાતો કહી રહ્યા છે કે જો ગ્વાદરમાં ચીની લશ્કરની ગતિવિધિ વધે તો ભારત સહિત મુન્દ્રા, કંડલા કે હજીરા પોર્ટ પર પણ અસર થઈ શકે. બની શકે કે ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પણ વધે. આપણે અખાતી દેશોમાં સાથે પેટ્રોલ સહિત બીજી વસ્તુઓની મોટાપાયે આયાત-નિકાસ કરીએ છીએ. જો દરિયાઈ માર્ગમાં અસ્થિરતા વધે તો માલની ડિલોવરીના નેટવર્ક અને ખર્ચાઓમાં પણ અસર પડી શકે છે. જો ચીની સેના ગ્વાદરમાં મિસાઈલો તહેનાત કરે તો ગુજરાતના કચ્છ, દ્વારકા કે પોરબંદર તેની સીધી રેન્જમાં આવી શકે. જો કે સામેની બાજુ બીજી પણ શક્યતાઓ છે. જો ભારત યુનાઈટેડ નેશન્સમાં બલોચનો માનવાધિકારનો મુદ્દો ઉઠાવે તો વિશ્વએ બલૂચિસ્તાનની પીડા સાંભળવી પડી શકે. જો આવું થાય તો આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનના ટુકડા થવાની પણ શક્યતા રહેલી છે. ચીન ગ્વાદરમાં અને કોરિડોરમાં મોટો ખર્ચો કરી રહ્યું છે પણ ત્યાના બલોચ બળવાખોરો ચીનને રોકવા લોહી અને પરસેવો એક કરી રહ્યા છે. એવું પણ બની શકે કે ગ્વાદર ચીન માટે ફેલ પ્રોજેક્ટ પણ સાબિત થાય. અને છેલ્લે... મીર યાર બલોચે હમણા એક પોસ્ટ કરી હતી જેમાં ભાગલા સમયે બલોચિસ્તાન છોડી ભારત આવતા એક હિન્દુ પોતાની દુકાનની ચાવીઓ તેના બલોચ મિત્રને સોંપી ગયા હતા. તે બલોચ પરિવાર આજે પણ એ આશામાં દુકાન સાચવી રહ્યો છે કે તે હિંદુનો પરિવાર ક્યારેક તો પાછો આવશે. આ છે ભારત અને બલુચિસ્તાનનો ભાઈચારો. ઈતિહાસ સાક્ષી છે કે સરહદો બદલાઈ શકે છે, પણ સદીઓ જૂના આત્મીય સંબંધો ક્યારેય ભૂંસાતા નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)
સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત આગામી તા.11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓને સોમનાથ પહોંચાડવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ડિવિઝનોમાંથી કુલ 1800 જેટલી બસો ફાળવવાનું આયોજન કરાયું છે. આ આયોજન હેઠળ રાજકોટ ડિવિઝનમાંથી 200 બસોની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, અમરેલી અને જામનગર ડિવિઝનમાંથી પણ મોટી સંખ્યામાં બસો મેળવવામાં આવશે. તા.11ના રોજ યોજાનારા ખાસ સંચાલનને કારણે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય રૂટોની બસ સેવા પર અસર પડવાની સંભાવના છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા પણ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ ભવ્ય પર્વમાં જોડાનારા લોકોને પરિવહનમાં મુશ્કેલી પડે નહીં. આમ, વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. કિશનગઢ સ્ટેશન પર પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસનું નવું સ્ટોપેજઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન સંખ્યા 19269/ 19270 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસને હવેથી રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા મુજબ પોરબંદરથી 9 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19269 બપોરે 12:22 કલાકે કિશનગઢ પહોંચશે અને 12:24 કલાકે આગળ પ્રસ્થાન કરશે. મુઝફ્ફરપુરથી 11 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19270 રાત્રે 20:11 કલાકે કિશનગઢ આવશે અને 20:13 કલાકે રવાના થશે. રેલવે દ્વારા આ વધારાનું સ્ટોપેજ હાલ પ્રાયોગિક ધોરણે આગામી આદેશ સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે કિશનગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા તમામ મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે સીધી કનેક્ટિવિટી મળતા નોંધપાત્ર રાહત થશે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી ટ્રાન્સપોર્ટેશન માટે રેપિડો સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે જ દેશ વિદેશથી આવતા હવાઈ મુસાફરો માટે સ્નેક બારનું પણ ઓપનિંગ કરાયું હતું. આ ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન પટોળા પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા છે. રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, ગુજરાતની રીજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાની છે ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેપિડો કેબ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપવામાં આવશે અને મુસાફરોને મદદ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગની સામે પાર્કિંગ વિસ્તારમાં એક કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ટર્મિનલ બિલ્ડિંગની સામે સ્નેક બારનું પણ આજે ઓપનિંગ કરાયું હતું. જ્યા વાઇબ્રન્ટ સમિટમાં આવતા દેશ - વિદેશના મુલાકાતીઓ અને હવાઈ મુસાફરોને ચા, કોફી અને અલગ અલગ પ્રકારનું ફૂડ મળી રહેશે. આ સાથે જ ટર્મિનલ બિલ્ડિંગના પ્રસ્થાન વિસ્તારમાં AVSAR સુવિધા પણ કાર્યરત થશે. AVSAR (પ્રદેશના કુશળ કારીગરો માટે સ્થળ તરીકે એરપોર્ટ) એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની એક પહેલ છે. જે સ્વ-સહાય જૂથો (SHGs) અને સ્થાનિક કારીગરોને તેમના અનન્ય પ્રાદેશિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેનાથી સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને સશક્તિકરણ મળે છે. જે અંતર્ગત અહીં પટોળા ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યા છે.
ભાવનગરના શહેરના સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ સુધીના માર્ગ પર 'વ્હાઈટ ટોપીંગ' રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં હોવાથી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના દ્વારા આ માર્ગ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તા.7 જાન્યુઆરીથી તા.15 જાન્યુઆરી 9 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને સૂચિત માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે, પ્રતિબંધિત રસ્તો સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતીબંધીત રહેશે, ફોર વ્હિલર/ટુ-વ્હિલર વાહનો માટે ડાયવર્ઝન રૂટ (1) સહકારી હાટથી સંસ્કાર મંડળ ચોક તરફ જવા માંગતા વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ પર તેઓને માધવ દર્શન ચોક - રબ્બર ફેક્ટરી સર્કલ-ઘોઘા સર્કલ - રૂપાણી સર્કલ - સરદારનગર સર્કલ- કે.ડી માણેક સર્કલ - સંસ્કાર મંડળ ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર)(2) સહકારી હાટ - પરિમલ ચોક - વેલેન્ટાઇન સર્કલ- સંસ્કાર મંડળ ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર) સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ તરફ જવા માંગતા વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ વાળા વાહનોએ સંસ્કાર મંડળ ચોક - કે.ડી માણેક સર્કલ - સરદારનગર સર્કલ - રૂપાણી સર્કલ - ઘોઘા સર્કલ - રબ્બર ફેક્ટરી સર્કલ - માધવ દર્શન ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર) (2) સંસ્કાર મંડળ ચોક - વેલેન્ટાઇન સર્કલ - પરિમલ ચોક - સહકારી હાટ સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો (ફોર વ્હિલર/ટુ-વ્હિલર) એસ.ટી/ભારે વાહનો રુટ સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ તરફ જવા તથા આવવા માંગતા એસ.ટી/ભારે વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ વાહનો માટે એસ.ટી સ્ટેશન - નિલમબાગ સર્કલ - જવેલ્સ સર્કલ - દીલબહાર પાણીની ટાંકી - રામમંત્ર મંદિર જવા માટે સુચીત માર્ગનો ઉપયોગ કરવો. (એસ.ટી/ભારે વાહનો) રામમંત્ર મંદિર - દીલબહાર પાણીની ટાંકી - જવેલ્સ સર્કલ- નિલમબાગ સર્કલ - એસ.ટી સ્ટેશન જવા માટે સુચીત માર્ગનો ઉપયોગ કરવો. (એસ.ટી/ભારે વાહનો) જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને સૂચિત માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
વાડજ વિસ્તારમાં એક ગંભીર અને જોખમી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ઘરેલું ગેસના બાટલામાંથી ગેસ કાઢી અન્ય બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વાડજ પોલીસે દરોડા પાડ્યા હતા. જુના વાડજ રામાપીરના ટેકરા સેક્ટર-5 પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતો જોખમી ધંધો દરોડા પાડી ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે તપાસ કરતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનેક ગેસ બાટલામાં નક્કી વજન કરતા ઓછું ગેસ ભરેલું હતું. જેથી પોલીસે 93 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગેસ રિફિલિંગ કરાતી હોવાની પોલીસને બાતમી મળીજુના વાડજ રામાપીરના ટેકરા સેક્ટર 5 પાછળ ખુલ્લી જગ્યામાં બે શખ્સ ઘર વપરાશના ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ઘર વપરાશના ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસ તે જગ્યા પર પહોંચી ગઈ હતી. ખુલ્લી જગ્યાની થોડી દૂરથી પોલીસને એક લોડીંગ રીક્ષા અને તેની આજુબાજુ છૂટાછવાયા ગેસના બાટલા પડેલા હતા. જ્યાં બાટલામાં બે શખ્સો ઘરેલું ગેસના બાટલામાં પાઇપ જેવી વસ્તુ ભરાવી રહ્યા હતા. પોલીસ નજીક પહોંચી મયુર રાવત અને કાનજી ઉર્ફે બળવંત પરમાર ગેસ ભરેલ બાટલામાંથી ખાલી બાટલામાં રિફિલિંગ કરતા જોવા મળ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા ઇન્ડેન કંપનીના ઘરેલું ઉપયોગના બાટલા સામ સામે રાખીને વચ્ચે એલ્યુમિનિયમની પાઇપ લગાડેલી જોવા મળી હતી. તેમજ D 25 લખેલ નેટવેઇટ 14.2 kg અને ગ્રોસ વેઇટ 30.2 kg હતું જેને સ્થળ પર વજન કાંટામાં ચેક કરતા 25.8 kg જણાઈ આવ્યું હતું. તેમજ બીજા બાટલામાં A 26ના વજન જોતા 14.2kg અને ગ્રોસ વેઇટ જોતા 30.9 kg લખેલું હતું પરંતુ તેને વજન કાંટામાં ચેક કરતા 24 kg હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી12 જેટલા ગેસના બાટલા મળી આવતા હતા જેમાંથી મોટા ભાગના બાટલામાં વજન ઓછું જોવા મળ્યું હતું. જેથી પોલીસે તમામ ગેસની બોટલો સહિત 93,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વાડજ પોલીસે મયુર રાવત અને કાનજી ઉર્ફે બળવંત પરમાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી SOG શાખાના કર્મચારીઓ પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે મોટીકઠેચી ગામમાં પ્રદીપ બિસ્વાસ નામનો એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે, SOG ટીમે નાનીકઠેચીના મેડિકલ ઓફિસર ક્લાસ-2 ડો. હાર્દિકભાઈ બી. રાઠોડને સાથે રાખીને મોટીકઠેચી ગામમાં પ્રદીપ બિસ્વાસના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપી પ્રદીપ બિનુભાઈ બિસ્વાસ (ઉંમર 36, રહે. મોટીકઠેચી, મૂળ કલકત્તા) મળી આવ્યો હતો. આરોપીના કબજામાંથી અલગ-અલગ કંપનીઓની એલોપેથીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 8,548.68 રૂપિયા છે. આ દવાઓનો ઉપયોગ તે કોઈપણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર માટે કરતો હતો. આ મામલે આરોપી પ્રદીપ બિસ્વાસ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અમરભા કનુભા ગઢવી, PC કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ, PC અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા અને HC અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
મોડાસા જેસિસ મિલ્ક કમિટીના 50 વર્ષ પૂર્ણ:સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પંચકૃષ્ણ ભક્ત કથાનું આયોજન
મોડાસા જેસિસ મિલ્ક કમિટીએ તેની સ્થાપનાના 50 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે પાંચ દિવસીય પંચકૃષ્ણ ભક્ત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મોડાસાના મીની ઊંઝા ઉમિયા માતાજી મંદિરના મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજના મુખેથી કહેવામાં આવી રહી છે. આ કથામાં ભક્ત મહાપ્રભુજી, સંત જલારામબાપા, કવિ નરસિંહ મહેતા, ભક્ત મીરાંબાઈ અને શ્રીજી પ્રભુપાદના જીવનચરિત્રો પર આધારિત પ્રવચનો દ્વારા ભક્તિ, ત્યાગ અને સેવાભાવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. કથાનો પ્રારંભ જિલ્લાના પાંચ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજસેવાના ભાગરૂપે પાંચ વાલ્મીકિ સમાજની બહેનોનું પૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલા શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરાયું હતું. મોડાસા જેસિસ મિલ્ક કમિટીના ચેરમેન નવનીતભાઈ પરીખ, સેક્રેટરી મુકુંદભાઈ શાહ અને પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ જોષી સહિતના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત શ્રોતાઓનું સ્વાગત કર્યું હતું અને કથાનો લાભ લેવા અપીલ કરી હતી. કથા દરમિયાન જાયન્ટસ સહિયર ગ્રુપ દ્વારા કથાકાર શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાલકદાસજી મંદિરેથી જેસિસ હોલ સુધી પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પંચકૃષ્ણ ભક્ત કથામાં વિવિધ ભજન મંડળીઓ, સામાજિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાઈ રહ્યા છે, જે મોડાસા જેસિસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવી રહ્યા છે.
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નિવૃત પ્રોફેસર સાયબર ઠગાઈના હાઈટેક ફ્રોડનો શિકાર બન્યા છે. ઠગોએ માત્ર બેંક ખાતામાંથી 11.89 લાખ સેરવી લીધા હતા. બાદમાં પોતાની ઓળખ છુપાવવા માટે રિમોટ એક્સેસ દ્વારા પ્રોફેસરનો મોબાઈલ ફોન પણ ફોર્મેટ કરી નાખતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો ગુમાવ્યાડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતો કેટલી જોખમી હોઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. વડોદરાથી સરગાસણ રહેવા આવેલા નિવૃત પ્રોફેસર ડો. નિલાંબર દેવતાને ઇસ્ટાગ્રામ પર પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે. એકાઉન્ટ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર માગ્યોગાંધીનગરના સરગાસણમાં 'સ્વરા સરગમ' ખાતે રહેતા ડૉ. નિલાંબર દેવતા ગત 24 નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બેંક ઓફ બરોડાના પેન્શનર્સ કાર્ડની જાહેરાત દેખાતા તેમણે તેના પર ક્લિક કર્યું હતું. જેમાં 'મેન્ડેટરી ફોર ઓલ એમ્પ્લોઈઝ' લખેલું હોવાથી તેમણે તેના પર ક્લિક કર્યું હતું. લિંક ખુલતા જ તેમાં એકાઉન્ટ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર માંગવામાં આવ્યો હતો. આ વિગતો ભર્યાના બીજા દિવસે એક અજાણ્યા નંબર એક ફોન આવ્યો હતો. સાયબર ઠગોએ બેંકમાંથી 11.89 લાખ ઉપાડી લીધાબાદમાં સામે રહેલા શખ્સે પોતે બેંક ઓફ બરોડાની અલકાપુરી બ્રાન્ચથી બોલે છે તેમ કહી વિશ્વાસ જીત્યો હતો. તેણે વોટ્સએપ કોલ દ્વારા ડૉ. દેવતાને સ્પીકર ફોન પર રાખી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા જણાવ્યું હતું. અને પેન્શનર્સ કાર્ડ ઘરે ડિલિવર કરવાનું બહાનું કરી તેમની પાસે પ્રોસેસ કરાવી હતી. જેની થોડી જ વારમાં ડૉ. દેવતાના ખાતામાંથી પ્રથમ રૂ.9,44,160 અને ત્યારબાદ રૂ.2,45,000 ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. નિવૃત્ત પ્રોફેસરે હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવીહજી તેઓ કંઈ સમજે તે પહેલાં જ ઠગ દ્વારા તેમનો મોબાઈલ ફોન રિમોટલી કંટ્રોલ કરી આખેઆખો ફોર્મેટ કરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ કોલ હિસ્ટ્રી કે ડેટા બચ્યો ન હતો. જે અંગે પ્રોફેસરે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. હાલ ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ ગુનો નોધી તપાસ કરતા પ્રાથમિક રીતે ઝારખંડનું પગેરુ મળી આવ્યું છે. જે અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR-2026) કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘ (IAS), જેઓ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ પણ છે, તેમણે કરી હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ (ERO) તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રોલ ઓબ્ઝર્વર દ્વારા SIR-2026 હેઠળ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન મેપિંગ, ડિજિટાઈઝેશન, ફોર્મ કલેક્શન, નો-મેપિંગ નોટિસોની સુનાવણી અને સ્પેશિયલ કેમ્પ અંગેના અદ્યતન રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. રોલ ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘે તમામ મતદાર નોંધણી અધિકારીઓને સૂચના આપી હતી કે, કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવામાં આવે. આ ઉપરાંત, ઐશ્વર્યા સિંઘે ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ચાલી રહેલી નો-મેપિંગ નોટિસોની સુનાવણી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સુનાવણીમાં હાજર મતદારો અને વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સંવાદ કરીને સમગ્ર પ્રક્રિયાનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો. બેઠક દરમિયાન જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને હાલ ચાલી રહેલી સુનાવણી બાબતે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે બાકી રહેલી નો-મેપિંગ નોટિસોની સુનાવણી ઝડપથી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રને પૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.
પાટડી નગરપાલિકા દ્વારા નિર્મિત રીવરફ્રન્ટના લોકાર્પણ પ્રસંગે કૉંગ્રેસ પક્ષે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ સામે કૉંગ્રેસે રીવરફ્રન્ટના કામની ગુણવત્તા અને સરકારી નાણાંના કથિત દુરુપયોગ અંગે સવાલો ઉઠાવ્યા છે. કૉંગ્રેસના મતે, પાટડી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રીવરફ્રન્ટની કામગીરી ટેન્ડર સ્પેશિફિકેશન અને નિયમો અનુસાર નથી. લોકમુખે ચર્ચા છે કે, કામની ગુણવત્તા અત્યંત હલકી છે અને આ ફક્ત સરકારી નાણાંની ઉચાપત કરવા માટે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાટડી નગરપાલિકામાં સમાવિષ્ટ નારણપુરા-હિંમતપુરા ગામના લોકોને તેમના મકાનની જમીનના હક્ક માટે K1 નો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. વાસોરિયાવાસ જેવા અનેક વિસ્તારોમાં સામાન્ય લોકો પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર છે. ભૂતકાળમાં આ વિસ્તારના લોકો દ્વારા આંદોલન કરાતા પાટડીના ચીફ ઓફિસર દ્વારા કામગીરી કરવાની બાંહેધરી અપાઈ હતી, પરંતુ વાસ્તવિક રીતે કોઈ કામ થયું નથી. કૉંગ્રેસે આવા ગુણવત્તા વિહીન કામોમાં સરકારી નાણાંનો બગાડ અને 'તાયફાઓ' કરવાને બદલે બાળકો માટે લાઇબ્રેરી અને જાહેર ગ્રાઉન્ડ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. કૉંગ્રેસે માંગ કરી છે કે, રીવરફ્રન્ટના કામની વિજિલન્સ કમિશન દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ તેનું લોકાર્પણ કરવામાં આવે. જો તપાસ વિના લોકાર્પણ કરાશે, તો કૉંગ્રેસ અને પાટડીના જાગૃત નાગરિકો દ્વારા કચેરી બહાર માનવ સાંકળ રચી ગાંધી ચિંધ્યા માર્ગે મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત, કાર્યક્ષમ અને લોકકેન્દ્રિત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે “One Day–One District” નામની એક અનોખી અને દુરંદેશી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અને સંબંધિત રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (IGP) સાથે સીધી બેઠક યોજશે. આ બેઠકોનો મુખ્ય હેતુ જિલ્લાની જમીની હકીકતોને પ્રત્યક્ષ રીતે સમજવો અને તે આધારે નીતિગત નિર્ણયો તથા સંસાધનોનું યોગ્ય આયોજન કરવાનું છે. જિલ્લામાં પોલીસિંગને લગતા વિશિષ્ટ પડકારો, જરૂરિયાતો અને સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે અસરકારક ઉકેલો શક્ય બને. જિલ્લાની ભૌગાલિક સ્થિતિ અનુસાર વિવિધ મુદ્દાની ચર્ચા કરાશેબેઠકો દરમિયાન જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ખાસ પ્રકારના વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક અને બિનરહેણાંક માળખાં, માનવ સંસાધનની ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ અને બીટની રચનામાં જરૂરી ફેરફારો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે, દરેક જિલ્લામાં અમલમાં આવેલી એક શ્રેષ્ઠ પ્રથા (Best Practice) અંગે ચર્ચા કરીને તેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેવા વિકલ્પો પણ તપાસવામાં આવશે. જિલ્લાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ પોલીસ વડા દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને તાત્કાલિક દિશાનિર્દેશ આપવામાં આવશે. જ્યાં નીતિગત અથવા વહીવટી મંજૂરી જરૂરી હોય ત્યાં ગૃહ વિભાગને યોગ્ય પ્રસ્તાવો મોકલવામાં આવશે, જેથી સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવી શકાય. ડાંગ જિલ્લાની પહેલની શરૂઆત કરવામાં આવી“One Day–One District” પહેલની શરૂઆત ગઈકાલે તા. 07/01/2026ના રોજ ડાંગ–આહવા જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ અને જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી અને વાહન તથા IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અનેક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ પણ કરવામાં આવ્યું. આ નવી પહેલથી રાજ્યભરમાં પોલીસ કાર્યક્ષમતા, નિર્ણયક્ષમતા અને જનસેવામાં નોંધપાત્ર સુધારો આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોની ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. શારીરિક રીતે અશક્તિ ધરાવતા અને જાતે ચાલી પણ નહિ શકે તેવી સ્થિતિમાં આવેલા એક દર્દીને કેઝ્યુલીટી વિભાગમાં પ્રાથમિક અને દેખાડવા પુરતી સારવાર આપ્યા બાદ ડોકટરો દ્વારા ડીસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. આ દર્દી જાતે ચાલી નહિ સકતો હતો તેમ છતાં ડોકટરોએ તેને કેવી રીતે ડીસ્ચાર્જ આપી દીધો હતો. આ સાથે દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જાવ તેવું તબીબો દ્વારા કહેવામાં આવ્યું હોવાનો સગાઓએ આક્ષેપ કર્યો હતો. જ્યારે હાજર તબીબોએ પણ દર્દીને ડિસ્ચાર્જ આપી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી તબીબોની સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ઉમરવાડા ખાતે આવેલ રાજુનગરમાં રહેતા આશરે 30 વર્ષીય સવલો હમીર કટારાને શારીરિક રીતે અશક્તિ અને ચક્કર આવતા હોવાથી પિતરાઈભાઈ સહીત સગાઓ આજે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.ત્યાર બાદ દર્દીને કેઝ્યુલિટી વિભાગમાં લઇ જવાંમાં આવ્યો હતો. જ્યા ડોકટરો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી,જોકે બાદ અચાનક આ દર્દી કેઝ્યુલીટીની બહાર આવેલ અમુલ પર્લર સામે પડેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે તેની સાથે હાજર સગાને પૂછવામાં આવતા તેઓએ ડોકટરો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમારા દર્દીને ડોકટરો દ્વારા ફક્ત ગ્લુકોઝનો બાટલો ચઢાવવામા આવ્યો હતો અને બાદમા ડોકટરોએ કહ્યું કે અહીંથી લઇ જાવો,તેથી અમે તેને ઈમરજન્સી વિભાગમાંથી બહાર લઇ આવ્યા હતા. અમને કઈ સમજાતું ન હતું શું કરીએ ક્યાં લઇ જવું,અમને તેની યોગ્ય સારવાર કરાવવી હતી પણ ડોકટરો કહેવા લાગ્યા કે બહાર લઇ જાવો અથવા તો સિવિલમાં લઇ જાવો. સિવિલ બાબતે અમને કઈ ખબર નથી. સમજ નથી પડતી કે ક્યાં લઇ જઈએ. બીજી તરફ આ રીતે ડોકટરો દવારા કેઝ્યુલીટી વિભાગમાંથી દર્દીને ડિસ્ચાર્જ આપ્યું હોવાનું કહીને બહાર મોકલી આપવામાં આવતા દર્દી કેઝ્યુલિટીની બહાર બહુ જ દયનિય હાલતમાં જોવા મળ્યો હતો, ત્યારે એવા પશ્નો ઉઠવા પામ્યા હતા કે ડોકટરોએ કેવી સારવાર આપી,દ ર્દી જાતે ચાલી પણ નહીં શકતો અને છતાં તેંને રજા આપી દીધી. ડોકટરોની અંદર જરા પણ માનવતા નથી કે તેને દાખલ કરીને અથવા થોડો સ્ટેબલ થાય સુધી સારવાર આપવામાં આવે. અમને સ્ટ્રેચર પણ નહીં આપી, ઉંચકીને બહાર લાવ્યા દર્દીના સગા ભીમાભાઈએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમને ઈમરજન્સી વિભાગમાંથી બહાર લાવવા માટે લારી ( સ્ટ્રેચર ) પણ નહીં આપી હતી. લારી લેવા ગયા તો એવું કહ્યું કે અહીં નહિ મળે. ત્યારે અમે દર્દીને જાતે જ ઉંચકીને બહાર લઇ ગયા હતા.અમને અહીં સારવાર કરાવવાની હતી પણ ડોક્ટરોએ લઇ જવાનું કીધું એટલે બહાર લઇ આવ્યા હતા,હવે ક્યાં જવાનું, શું કરવું તે બાબતે અમને કઈ સમજ નથી પડતી. તબીબની દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હોવાની કબૂલાત દર્દી અંગે જ્યારે ઓન ડ્યુટી સીએમઓ ( કેઝ્યુલિટી મેડિકલ ઓફિસર ) સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ દર્દીને અશક્તિ હતી અને ચક્કર આવતા હતા. તેને પાઈન્ટ ચઢાવવામાં આવી હતી અને મેડિસિન વિભાગમાં રેફર કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને ડિસ્ચર્જ આપવામાં આવ્યું હતું.
સરકારી તંત્રની ઉદાસીનતા અને વહીવટી વિલંબ સામે જ્યારે માનવીય સંવેદના અને બંધારણીય હકોનો વિજય થાય છે, ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક ઠરે છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના જશવંતગઢ (ચિતલ)ના વતની જયાબેન પરમારના જીવનમાં પ્રકાશ લઈને આવ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), દિલ્હીની કડક કાર્યવાહી બાદ, અનુસૂચિત જાતિના આ વિધવા મહિલાને 4 વર્ષથી અટવાયેલું 50,00,000 (પચાસ લાખ) રૂપિયાનું બાકી પેન્શન અને માસિક 44,000 રૂપિયાનું નિયમિત પેન્શન મંજૂર કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે સરકારી હોસ્પિટલમાં મુખ્ય ફાર્માસિસ્ટ તરીકે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર કાનજીભાઈ ગોદડભાઈ પરમાર 30/06/2019 ના રોજ નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ વહીવટી ગૂંચવણોને કારણે તેમનું પેન્શન શરૂ થયું ન હતું અને આ માનસિક મથામણ વચ્ચે જ 26/04/2021 ના રોજ તેમનું નિધન થયું. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની જયાબેન પરમાર પેન્શનના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહ્યા, પરંતુ તંત્ર દ્વારા વારંવાર 'ક્વેરી' કાઢીને તેમને ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા હતા. અંતે, પીડિત પરિવારે અમદાવાદના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની મદદ લીધી. તેમણે આ કેસનો ઊંડો અભ્યાસ કરી 17/04/2023 ના રોજ બંધારણના આર્ટિકલ-21 (ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) હેઠળ NHRCમાં ફરિયાદ દાખલ કરી. આયોગે આ બાબતને ગંભીરતાથી લઈ તંત્રને નોટિસ ફટકારી અને 4 અઠવાડિયામાં અહેવાલ માંગ્યો હતો. આયોગના દબાણ અને કલેક્ટર કચેરીની સક્રિયતાને કારણે પેન્શન વિભાગે સુધારેલા ROP-2016 મુજબ કેસ મંજૂર કર્યો. વર્ષોથી કચેરીઓમાં ભટકતા પરિવારને અંતે આર્થિક સુરક્ષા અને સામાજિક સન્માન મળ્યું છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો જાગૃત નાગરિક અને સક્ષમ સંસ્થા સાથે મળીને લડે, તો ગમે તેવા જટિલ સરકારી અવરોધોને પાર કરી શકાય છે. આ માત્ર એક પેન્શનની મંજૂરી નથી, પરંતુ માનવ અધિકારો અને બંધારણીય મૂલ્યોની ભવ્ય જીત છે.
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધરમેશ્વર મહાદેવ મંદિર અત્યારે ભારે ચર્ચામાં છે. મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. શું છે સમગ્ર ઘટના?મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મંદિરના એક જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે. આ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી. સર્ચ ઓપરેશનમાં 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા, 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. અવશેષો 35 વર્ષ જૂના હોવાની શક્યતાવન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે. જોકે, આ વસ્તુઓ અસલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમૂનાઓ FSLમાં મોકલી આપ્યા છે. મૃતક મહારાજની સંડોવણી અંગે તપાસમંદિરમાં રહેતા મહારાજ, જેઓ મૂળ મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે, તેમનું ગત 7 જુલાઈ, 2025 ના રોજ નિધન થયું છે. આ તમામ વાઘના નખ અને ચામડા તે જ રૂમમાંથી મળી આવ્યા છે જ્યાં મહારાજ રહેતા હતા. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે નિધન થયેલા મહારાજ કોના કોના સંપર્કમાં હતા? આટલો મોટો જથ્થો અહીં ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો? શું આ આંતરરાજ્ય તસ્કરીનું કોઈ મોટું નેટવર્ક છે? તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતાવન વિભાગે આ મામલે ફોરેસ્ટ અધિનિયમ (તસ્કરી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસમાં આગામી દિવસોમાં ઘણા મોટા માથા ઓના નામ બહાર આવવાની શક્યતા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક 4 જાન્યુઆરીના રોજ એક સિંહણનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું હતું. આ કેસમાં વન વિભાગે અમદાવાદના સ્વીફ્ટ કાર ચાલક રવિ કનુભાઈ ભરવાડની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંહણનું મોત પૂરપાટ ઝડપે આવતા વાહનની ટક્કરથી થયેલું જણાયું હતું. શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી હતી. વન વિભાગની ટીમોએ ઉનાથી ભાવનગર સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજમાં એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર GJ27AP 7798) જોવા મળી હતી. આ નંબરના આધારે તપાસ અમદાવાદ સુધી પહોંચી હતી. અમદાવાદ પોલીસની મદદથી વન વિભાગે કાર ચાલક રવિ કનુભાઈ ભરવાડને શોધી કાઢ્યો હતો. પૂછપરછ દરમિયાન રવિભાઈ ભરવાડે સિંહણને હડફેટે લીધાની કબૂલાત કરી હતી. વન વિભાગે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ACF વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજુલા-ઉના કોસ્ટલ હાઈવે પર સિંહોના ક્રોસિંગની ઘટનાઓ બનતી રહે છે. તેમણે વાહન ચાલકોને તકેદારીપૂર્વક વાહન ચલાવવા અને વન્ય સંપત્તિને નુકસાન ન થાય તે માટે અપીલ કરી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-4 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પીએમ મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા કારણોસર અમદાવાદમાં 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ઉત્તરાયણ માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેનો અમલ કરવાનો રહેશે. ઉત્તરાયણને લઈને પ્રસિદ્ધ કરવામાં આવેલું જાહેરનામું - કોઈપણ વ્યક્તિએ જીવનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ પર તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકાશે નહીં. - સામાન્ય નાગરિકોને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. - સામાન્ય નાગરિકોની લાગણી દુબઈ તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવી શકાશે નહીં. - ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરી લેવા માટે હાથમાં કોઈપણ વસ્તુ વડે પતંગ લેવા દોડાદોડી કરી શકાશે નહીં. - શોર્ટ સર્કિટ થવાની સંભાવના હોય તેવા તાર પર કે લોખંડના કોઈ પણ ધાતુ પર દોરી કે પતંગ કાઢવા કે નાખવા નહીં. - જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા અને સામાન્ય નાગરિકોએ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પ્રતિબંધ છે. - પ્લાસ્ટિક,સિન્થેટિક, ટોક્સિક મટીરીયલ પાવડર અને અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને દોરી પર પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ છે. - ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ દોરીના ઉત્પાદન,ખરીદ,વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. - ઓનલાઇન પ્લેટફોર્મ મારતો ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી કે ચાઇનીઝ તુક્કલ ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ BNS ની કલમ 223 અને GP એક્ટ 113,117,131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ભારત દેશના આગામી 77મા પ્રજાસત્તાક પર્વની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે વાઘોડિયા તાલુકાના ટીંબી સ્થિત તાલુકા સેવા સદન ખાતે અત્યંત ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વના આયોજનના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર અનીલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તૈયારીઓનો ધમધમાટ: બેઠક દરમિયાન કલેક્ટર અનીલ ધામેલિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાય તે રીતે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધી સોંપાયેલી કામગીરી સમયસર પૂર્ણ કરવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની કામગીરીનું સીધું માર્ગદર્શન કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ: આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોના સન્માન કાર્યક્રમ અંગે જરૂરી વ્યવસ્થાપન કરવા સૂચના આપી હતી. જ્યારે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે સુરક્ષા વ્યવસ્થા, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. રીહર્સલનું આયોજન: ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે આગામી 24 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 09:00 કલાકે ટીંબી ખાતે ફાઈનલ રીહર્સલ યોજાશે. સમગ્ર વહીવટી તંત્ર હાલ આ ઉજવણીને યાદગાર બનાવવા માટે કાર્યરત છે.
પાટણ જિલ્લામાં બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે નાયબ પશુપાલન નિયામકને લેખિત રજૂઆત કરી છે. તેમણે પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સાવધ કરવા અને જરૂરી ગાઈડલાઈન આપવા માંગ કરી છે. રાજ્યમાં શિયાળાની ઠંડી વધતા બર્ડ ફ્લૂનો રોગ વધુ ફેલાવવાની શક્યતાઓ છે. આ અંગે સરકારે પણ તકેદારી રાખવા માટે સૂચનાઓ અને ગાઈડલાઈન બહાર પાડી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જિલ્લામાં કાર્યરત પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને બર્ડ ફ્લૂના જોખમ વિશે માહિતગાર કરવા જોઈએ. તેમને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી તકેદારીના પગલાં લેવા અને સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવી જોઈએ. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલ્ટ્રી ફાર્મની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને મોટા પાયે મરઘાપાલન થઈ રહ્યું છે. આવા કેન્દ્રોમાં બર્ડ ફ્લૂના કેસો ન બને અને આ વાયરસ માનવ શરીરમાં ન ફેલાય તે સુનિશ્ચિત કરવું અત્યંત અનિવાર્ય છે. જિલ્લામાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં, ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને ગાઈડલાઈનથી વાકેફ કરી સાવચેતીના પગલાં લેવા ભલામણ કરાઈ છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે.
માળીયા (મી) તાલુકાના ચાંચાવદરડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ૨૩ વર્ષીય યુવાનનું મોત થયું છે. ગાંધીધામથી જામનગર પોતાના વતન પરત ફરી રહેલા આ યુવાનના બાઇકને ટ્રકે હડફેટે લેતા આ દુર્ઘટના બની હતી. મૃતક યુવાન દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા (૨૩) જામનગરના માટેલ ચોક પાસે રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતો હતો. તે ગાંધીધામ ખાતે એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. માળીયા-જામનગર હાઇવે પર ચાંચાવદરડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વળાંકમાં ટ્રક નંબર GJ 10 TY 0063 ના ચાલકે તેના બાઇક નંબર GJ 10 DP 0298 ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દુષ્યંતસિંહને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા હેમેન્દ્રસિંહ ભીખુભા જાડેજા (૫૭)એ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક દુષ્યંતસિંહના દસેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે ગાંધીધામથી પોતાના ઘરે જામનગર પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો.
માંડવી શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ અને ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. માંડવી શહેર ભાજપના વોર્ડ નંબર ચાર દ્વારા દાદાની ડેરી ખાતે દ્વિચક્રીય વાહનચાલકો માટે નિ:શુલ્ક સુરક્ષા કવચ (સેફ્ટી ગાર્ડ) લગાવવામાં આવ્યા હતા. આ સુરક્ષા કવચનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની પાકી દોરીથી થતી ઈજાઓથી વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. આ કાર્યક્રમ માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી અને કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરના સહયોગથી યોજાયો હતો. માંડવી પીઆઈ બારોટ સાહેબ અને અન્ય પોલીસ મિત્રો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શહેરીજનોની સુખાકારી અને સલામતી માટેના આ સેવાકીય કાર્યક્રમમાં માંડવી શહેર ભાજપ મહામંત્રી કિશનસિંહ જાડેજા, નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પારસ માલમ, શહેર ભાજપ ઉપપ્રમુખ નરેન સોની, ખજાનચી પ્રવિણ ગોર સહિત અનેક ભાજપ કાર્યકરો અને પોલીસ અધિકારીઓ સહભાગી થયા હતા. તેમાં શંકર જુવડ, શક્તિસિંહ ઝાલા, હિતેશ મહેતા, જગદીશ જોષી, રૂપેશ સોની, હિંમતસિંહ રાઠોડ, કાંતિ પટ્ટણી, હિતેશ શાહ, હરીશ માંગલીયા, શૈલેષ જોષી, રાજા કોલી, મહેશ ગોસ્વામી, દેવિયાન ગઢવી, પ્રતિક શાહ, હરપાલસિંહ જાડેજા, સાવનસિંહ રાઠોડ, રામ ગઢવી, કિરણ ચૌધરી, સુરૂભા જાડેજા, દેવા આહીર, હિરજી માતંગ અને આનંદ ધોડકીયા જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણી મુદ્દે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ વિદેશ લઈ જવાના બહાને પરિણીતા સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન બાદ સાસરિયાઓએ પિયરેથી વધુ કરિયાવર લાવવા દબાણ કર્યુંમહિલા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર રોડ પર આવેલા શિવદર્શન રો હાઉસમાં રહેતા કર્તવ્ય સુમનભાઈ ઉનાગર સાથે પીડિતાના લગ્ન ડિસેમ્બર 2023માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ પતિ કર્તવ્ય, સાસુ ભાવનાબેન, સસરા સુમનભાઈ તેમજ કાકા-કાકી સાસુએ પરિણીતાને પિયરેથી વધુ કરીયાવર લાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પોલેન્ડ લઈ જવાના બહાને છેતરપિંડીફરિયાદમાં જણાવ્યા અનુસાર, પતિ કર્તવ્યએ લગ્ન સમયે પત્નીને પોતાની સાથે પોલેન્ડ લઈ જવાની વાત કરી હતી. જોકે, લગ્ન બાદ તેને સાથે લઈ જવાને બદલે તે પોતે પોલેન્ડ જતો રહ્યો હતો. આટલું જ નહીં, પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ ત્યાં અન્ય સ્ત્રી સાથે સંબંધો ધરાવે છે. ઘરે હાજર સાસરિયાઓ પણ પરિણીતાનો પગાર પડાવી લેતા હતા અને તેને સતત માનસિક ત્રાસ આપતા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીપોતાની સાથે થયેલા અન્યાય સામે લડત આપતા પરિણીતાએ અંતે મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે પતિ કર્તવ્ય ઉનાગર સહિત સાસરિયાઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પતિ પોલેન્ડ હોવાથી પોલીસ તેને કાયદાના સકંજામાં લેવા માટે જરૂરી કાર્યવાહી કરી રહી છે.
વડોદરામાં 'વડોપેક્ષ-2026' નો પ્રારંભ:અકોટા અતિથિ ગૃહ ખાતે જામશે અલભ્ય ટપાલ ટિકિટોનો મેળો
ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડોદરાના આંગણે આગામી 09-01-2026 થી 10-01-2026 દરમિયાન જિલ્લા કક્ષાના ટપાલ ટિકિટ પ્રદર્શન ‘વડોપેક્ષ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અકોટા અતિથિ ગૃહ ખાતે યોજાનારા આ બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ સવારે 10 કલાકે થશે, જેમાં વડોદરા જિલ્લાના અગ્રણી સંગ્રાહકો દ્વારા ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરતી અમૂલ્ય ટપાલ ટિકિટો રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર ઉપસ્થિત રહેશે. સાથે જ વડોદરા રીજનના પોસ્ટમાસ્ટર જનરલ દિનેશ કુમાર શર્મા અને PTC વડોદરાના ડિરેક્ટર ડૉ. એસ. શિવારામ પણ ગરિમામય હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ખાસ ‘સ્પેશિયલ કવર’ લોન્ચ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે પત્ર લેખન અને સેમિનાર જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે નોંધનીય છે કે, પર્યાવરણ, મહાન વિભૂતિઓ અને ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત દુર્લભ સંગ્રહ છે, ટપાલ ટિકિટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ તે ઇતિહાસનો દસ્તાવેજ છે. વડોદરા ઈસ્ટ ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ દ્વારા શહેરના તમામ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ જ્ઞાનવર્ધક પ્રદર્શન નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બોપલ વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. આરોહી ગેલેરીયા કોમ્પ્લેક્સમાં બી બ્લોકમાં ઓફિસની આડમાં હુક્કાબાર ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. બોપલ પોલીસે મોડી રાત્રે દરોડા પાડતા સંચાલક અને એક વ્યક્તિ હુક્કો પીતો મળી આવ્યો હતો. ઓફિસમાં પોલીસે વધુ તપાસ અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવતા હતા. જે બાદ FSL માં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં ફ્લેવરમાં નિકોટીન હોવાનું સામે આવતા બોપલ પોલીસે સંચાલક ધ્રુવ બ્રહ્મભટ્ટ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરું છે. 12 ઓક્ટોબર 2025ના દરોડો પાડવામાં આવ્યો હતોબોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે હુક્કાબાર ચાલી રહ્યું છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી આરોહી ગેલેરીના કોમ્પ્લેક્સમાં હુક્કાબાર ચાલતું હોવાની બાતમી વાળી હતી. ધ્રુવ બ્રહ્મભટ્ટ નામનો વ્યક્તિ બહારથી માણસો બોલાવીને હુક્કાબારની પ્રવૃતિ કરતો હોવાથી પોલીસને બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. 12 ઓક્ટોમ્બર 2025ના મોડી રાત્રે એક વાગ્યા આસપાસ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલસી રેડ કરી ત્યારે ગેરકાયદેસર હુક્કાબાર ચાલતું હોવાનું સામે આવ્યું હતું. આરોહી ગેલેરીયા કોમ્પ્લેક્સના બી બ્લોકમાં આવેલી ઓફિસમાં જ્યારે ચેક કર્યું ત્યારે ઓફિસમાં સોફા પર કેટલાક માણસો બેઠા હતા. તે બાદ પોલીસે પોતાની ઓળખ આપી હાજર વ્યક્તિની પૂછપરછ કરી હતી. જ્યારે એક વ્યક્તિએ પોતાનું નામ ધ્રુવ ઉર્ફે કાનો બ્રહ્મભટ્ટ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ઓફિસના સંચાલક બાબતે પૂછતા પોલીસને જાણવા મળ્યું હતું કે હુક્કાબારનો માલિક ધ્રુવ બ્રહ્મભટ્ટ જ હોવાનું સામે આવ્યું હતું. તેમજ સંદીપ ઉર્ફે સેંઘો પટેલ સોફા પર હુક્કાબારની મજા મળતો હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરું હતી. જેથી વધુ તપાસમાં સામે આવ્યું હતું કે એક હુક્કાદીઠ સંચાલકને 700 રૂપિયા ચૂકવાતા હતા. તેમજ ઓફિસમાં એલ ઇડી પણ લગાડેલી હોવાનું સામે આવ્યું હતું. FSL રિપોર્ટ બાદ સંચાલક સામે ગુનો નોંધાયોપોલીસની તપાસ દરમિયાન અલગ અલગ ફ્લેવર તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 10,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ફ્લેવરના પેકેટ, સ્ટીલના ચીપિયા, કોલસા મુકવાનો સ્ટીલનો જારો, હુક્કાના બેઝ, ચિલમ, પ્લાસ્ટિકની પાઇપ, ફિલ્ટર, કોકોનેટ કોલસાના પેકેટ, સિલ્વર ફોઇલ સહિતની વસ્તુઓ તપાસ દરમિયાન મળી આવી હતી. અલગ અલગ ફ્લેવરોના પેકેટમાં ખરેખર ડિકોટીન કે તમાકુના તત્વ છે કે નહીં તે માટે FSL ની મદદ લેવામાં આવી હતી. જેથી અલગ અલગ ફ્લેવરના પેકેટ FSL માટે મોકલી આપવામાં આવ્યા હતા. જો કે હવે FSLની તપાસમાં હક્કના ફ્લેવરમાં નિકોટીન હોવાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિકોટીન યુક્ત ફ્લેવરો હુક્કામાં ભરીને લોકોને ગેરકાયદેસર પીવડાવતા બોપલ પોલીસે ધ્રુવ ઉર્ફે કાનો બ્રહ્મભટ્ટ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજપૂત સમાજની શતાબ્દી ઉજવણી:ગોધરામાં આવતીકાલે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિરના લોકડાયરાનું આયોજન
પંચમહાલ જિલ્લામાં રાજપૂત સમાજ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગોધરા શહેરના ન્યુ હીરા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર લોકડાયરામાં જમાવટ કરશે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, જેને પગલે સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. શતાબ્દી મહોત્સવના ભાગરૂપે, આવતીકાલે રાત્રે 9 કલાકે ગોધરાના ન્યુ હીરા હાઈસ્કૂલના મેદાનમાં આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં લોકગાયક કીર્તિદાન ગઢવી ભજન અને લોકગીતો રજૂ કરશે, જ્યારે હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય અને હાસ્ય પીરસી શ્રોતાઓને મનોરંજન પૂરું પાડશે. રાજપૂત સમાજના 100 વર્ષના ઇતિહાસને ઉજાગર કરતા આ કાર્યક્રમ માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ, બેઠક વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે. ચાર નવા ફાયર સ્ટેશનો માટે હોદ્દા વાઇઝ સ્ટાફની જગ્યાઓ બહાર પાડીને નવી ભરતી/નિમણૂંક કરાશે. નવા ચાર ફાયર સ્ટેશન માટે સ્ટેશન ઓફિસર, સબ ફાયર ઓફિસર, ફાયરમેન સહિત કુલ 168 સ્ટાફની ભરતી કરવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે. ફાયર સ્ટેશનના સ્ટાફની ભરતીઓ કરશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બોપલ, ગોતા, ત્રાગડ સહિતના અલગ અલગ નવા ફાયર સ્ટેશન માટે સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, જમાદાર, ડ્રાઇવર કમ ઓપરેટર સહિતની ભરતીઓ કરવામાં આવશે. જેમ નવા ફાયર સ્ટેશન આવશે એમ નવી ભરતી કરવામાં આવશે. શહેરના 15 વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવાશેઆગામી વર્ષ 2026-27માં રામોલ, કઠવાડા, વસ્ત્રાલ, વાસણા, ચાંદખેડા, ન્યુ વાડજ, લાંભા, થલતેજ, સરખેજ, ઓગણજ, ઈસનપુર, નારણપુરા, ધુમા, જોધપુર, મકતમપુરામાં પણ કુલ 15 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામા આવનાર છે. ફાયર સ્ટેશન બનતા આશરે 2 વર્ષનો સમયગાળો લાગે તેમ હોય 15 ફાયર સ્ટેશન માટે નવી જગ્યાઓ ઉધાડવા બીજા તબક્કામાં દરખાસ્ત કરવામાં આવશે. AMCની હદમાં 19 ફાયર સ્ટેશન કાર્યરતઅમદાવાદ શહેરનો વિસ્તાર આશરે 505 ચોરસ કિલોમીટર થયેલો છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ ઉપરાંત નજીકના ગામો તથા શહેરોને જરૂર પડે ત્યારે મદદ આપે છે. તથા ઇમરજન્સી સમયે જરૂરીયાતના સમયે ગુજરાત રાજય બહાર પણ સેવા પુરી પાડે છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે. આગામી વર્ષમાં નવા 2 ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસ બનાવી લોકાર્પણ કરવામાં આવશે. 20 વર્ષ જુના ફાયર સ્ટેશન અને કવાર્ટ્સ તોડી નવા બનાવાશેખમાસા ખાતે દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડીને નવું બનાવવાની કામગીરી ચાલુ છે. જે ટૂંક સમયમાં બનીને તૈયાર થશે. પાંચકુવા ફાયર સ્ટેશનનું રીનોવેશનની કામગીરી પૂર્ણતા તરફ છે જેથી 2 ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાર્ટસ પણ બની તૈયાર થનાર હોવાથી તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ઓઢવ ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટસ આશરે 20 વર્ષ જુના હોય તેને તોડીને નવું બનાવવાની મંજૂરી મળી છે. જે પણ આગામી 2 વર્ષમાં બની તૈયાર થનાર છે. 500 ચો.કી.મી. વિસ્તારમાં 50 ફાયર સ્ટેશનની જરૂરીયાતભારત સરકારની સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ આશરે દર 10 ચો.કી.મી.એ 1 ફાયર સ્ટેશનની જરૂરીયાત હોયતે મુજબ 500 ચો.કી.મી. વિસ્તારમાં માટે 50 ફાયર સ્ટેશનની જરૂરીયાત ઉભી થાય તેમ છે. ગોતા અને ત્રાગડ 2 નવા ફાયર સ્ટેશનો આગામી વર્ષમાં બની તૈયાર થશે. 2015માં ફાયરખાતાના ટેકનિકલ શીડયુલમાં જે જગ્યાઓ ખાલી પડે છે તે ભરવા/બઢતી આપવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ દ્વારા હાલમાં ચાલુ છે.
ગાંધીનગરના GNLU ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ સમારોહ–2026” અંતર્ગત વર્કશોપ અને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાયના ચેક તથા ક્રેડિટ કાર્ડ માટેના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર થતી સ્વદેશી વસ્તુઓના પ્રોત્સાહન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી – આત્મનિર્ભર સખી” લોગો અને ગુજરાત શહેરી આજીવિકા મિશનની નવીન વેબસાઈટનું મંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શહેરી સ્થાનિક સંસ્થાઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાસમારોહ દરમિયાન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું શ્રેષ્ઠ અમલીકરણ કરનાર મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેગા સિટી કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ અને સુરત મહાનગરપાલિકાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. જ્યારે મેજર સિટી કેટેગરીમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ, જામનગર મહાનગરપાલિકાએ દ્વિતીય અને જૂનાગઢ મહાનગરપાલિકાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. નગરપાલિકા કેટેગરીમાં હિંમતનગર પ્રથમ, મહુવા દ્વિતીય અને પેટલાદ તૃતીય ક્રમે રહ્યા હતા. આ ઉપરાંત ઊંઝા, ડાકોર, હાલોલ, બોરસદ, સિદ્ધપુર, જંબુસર અને કાલોલ શહેરી સ્થાનિક સંસ્થાઓને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ગુજરાતની 48 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરે છેઆ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને નવી દિશા આપી હતી. વાઇબ્રન્ટ ગુજરાત, જ્યોતિર્ગ્રામ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેવી પહેલોથી રાજ્યનો ઝડપી વિકાસ થયો છે. આજે ગુજરાતની 48 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરે છે, જે રાજ્યની સુવ્યવસ્થિત શહેરીકરણની સાબિતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરીને શહેરોના સર્વાંગી વિકાસ માટે મોટા પ્રમાણમાં બજેટ ફાળવ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત આજે ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં પણ દેશભરમાં અગ્રેસરમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન નાના વેપારીઓ અને ફેરિયાઓને આર્થિક સંકટમાંથી બહાર લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી. કોઈપણ પ્રકારની ગેરંટી વિના આપવામાં આવતી આ લોન યોજનાએ લાખો પરિવારોને આત્મનિર્ભર બનાવ્યા છે. આ યોજના હવે વર્ષ 2030 સુધી લંબાવવામાં આવી છે, જે નાના વેપારીઓ માટે મોટી રાહત સમાન છે. ગુજરાત આજે ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં પણ દેશભરમાં અગ્રેસર બની રહ્યું છે. ગુજરાતને શહેરી વિકાસના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે રોલ મોડલ સ્ટેટ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યોઅંતમાં મંત્રીએ ‘સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ અને પ્રોત્સાહન માટે અપીલ કરી હતી. તેમણે શહેરોમાં ગટર, ડ્રેનેજ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ વધુ મજબૂત બનાવી ગુજરાતને શહેરી વિકાસના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે રોલ મોડલ સ્ટેટ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, સચિવ રાજકુમાર બેનિવાલ, ગુજરાત શહેરી આજીવિકા મિશનના મિશન ડાયરેક્ટર સંગીતા રૈયાણી, વિવિધ મહાનગરપાલિકાના મેયરો, કમિશનરો, નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો વડોદરાના ભાજપના જ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી વહીવટી વ્યવસ્થાની ટીકા કરી .કહ્યું, સરકારી કચેરીઓમાં સામાન્ય વ્યક્તિને કામ કરાવવું યુદ્ધ સમાન થઈ ગયું છે. ખરાબ માનિસકતા ધરાવતા અધિકારીને સ્પષ્ટ સૂચના આપવા પણ માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો આમ આદમી પાર્ટીની જાહેર સભા પહેલા વિવાદ સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા,ચૈતર વસાવાના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટરથી વિવાદ. વીએચપીએ પોસ્ટર પર સ્યાહી લગાવી. તો આપે આને ભાજપનું કાવતરું ગણાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ અમદાવાદમાં આવતા પ્રદુષિત પાણી મામલે કોંગ્રેસે આજે મેયરની ઓફિસમાં હોબાળો મચાવ્યો. વિપક્ષ નેતા શહેઝાદખાને મેયરને પાણીની બોટલ આપી કહ્યું, આ બ્લેક કોફી નથી; કોઈનું મોત થશે તો જવાબદારી માત્ર મેયર-તંત્રની રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો GPSCની 2026માં લેવાનારી પરીક્ષાની તારીખો જાહેર જીપીએસસીની 2026માં લેવાનારી પ્રિલીમ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું .. વિવિધ 18 સંવર્ગની પ્રિલીમ પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન લેવામાં આવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 108 અશ્વો સાથે પોલીસનું રિહર્સલ સોમનાથમાં 108 અશ્વો પર પોલીસે રિહર્સલ કર્યું. પીએમ મોદી 10 જાન્યુઆરીએ 108 અશ્વો સાથે શૌર્ય યાત્રાની આગેવાની કરશે. આજથી સોમનાથમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ કરવામાં આવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ડિજિટલ પેમેન્ટના પ્રોત્સાહનના નામે લૂંટ અમદાવાદ એરપોર્ટ પર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહનના નામે પ્રજાને લૂંટવાના ધંધા.જો કોઈ મુસાફર પાર્કિંગ ફી રોકડામાં ચૂકવશે તો તેને 100 રુ. ચાર્જ ચૂકવવો પડશે..એટલે કે જો તમે 50 રુય રોકડા આપ્યા તો 100 રુના ચાર્જ સાથે તમારે 150 રુ. ચૂકવવા પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પાંચ કલાકમાં ત્રણ અકસ્માત અને ત્રણનાં મોત વડોદરામાં પાંચ કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ વૃદ્ધના મોત..વડસરબ્રિજ પાસે VMCના ડમ્પરે સાઇકલ સવાર, એરપોર્ટ સર્કલે આઈસરે રાહદારી ને ફતેગંજમાં ટ્રકે એક્ટિવા ચલાકને કચડ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો બ્રિજના ખાડામાં એક્ટિવા ખાબકતાં એકનું મોત અમરેલીના નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં એક્ટિવા ખાબક્યું. ફાયરના જવાનોએ ત્રણેયનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા. જોકે સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો નવવીત બાલધિયા પર હુમલા મામલે કોળી સમાજ મેદાને બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના વિરોધમાં કોળી સમાજ મેદાનમાં ..સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે સમાજ ભાવનગર પહોંચ્યો..ઋષિભારતી બાપુની આગેવાનીમાં પીડિત યુવકની મુલાકાત લીધી.. કહ્યું-'મુખ્ય આરોપીની ધરપકડ સુધી આંદોલન ચાલુ રહેશે' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પોષી પૂનમે ભક્તોએ છલકાવ્યો ભંડારો પોષી પૂનમ દરમિયાન ભક્તોએ અંબાજીમાં ભંડારો છલકાવ્યો. મંદિરને 1.48 કરોડ રૂપિયાની આવક થઈ છે, જેમાં રોકડ દાન અને સોનાની ભેટનો સમાવેશ થાય છે. મંદિરના ભંડારામાંથી 71.57 લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું, જ્યારે 76.64 લાખ રૂપિયાની કિંમતની સોનાની ભેટ પણ આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ------------------------
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ફેલાયેલા કમળાના રોગચાળાને નાબૂદ કરવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે અસરગ્રસ્ત વિસ્તારોની પગપાળા મુલાકાત લઈ પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે હિપેટાઇટીસ-એના વધુ કેસ નોંધાયેલા ટીંબા મહોલ્લા અને કાજીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પરિવારો સાથે સીધો સંવાદ સાધી દર્દીઓની સારવાર, દવાઓ અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે દૂષિત પાણી અને ગંદકીના પ્રશ્નોને ગંભીરતાથી લીધા હતા. તેમણે નગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર જ સફાઈ અભિયાન તેજ કરવા, ગંદકી દૂર કરવા અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની કડક સૂચના આપી હતી. પાણી પુરવઠામાં કોઈપણ બેદરકારી ચલાવી નહીં લેવાય તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. કલેક્ટરે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કમળા વોર્ડની પણ મુલાકાત લીધી હતી. તેમણે ઇન્ચાર્જ ડોક્ટરો સાથે ચર્ચા કરી દર્દીઓની ઝડપી રિકવરી માટે જરૂરી તબીબી પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું. ખાનગી હોસ્પિટલના તબીબોને પણ આ જાહેર આરોગ્ય અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી. જનજાગૃતિ પર ભાર મૂકતા કલેક્ટરે નાગરિકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને કોઈ તકલીફ જણાય તો તરત આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. નગરપાલિકાની 24 કલાક કાર્યરત હેલ્પલાઇન દ્વારા વિનામૂલ્યે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે, નગરપાલિકા અને આરોગ્ય વિભાગની 40થી વધુ ટીમો હાલ ફિલ્ડમાં કાર્યરત છે. કમળાના રોગચાળાને સંપૂર્ણપણે કાબૂમાં લેવા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બાલાસિનોર શહેરમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કમળાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. અત્યાર સુધીમાં 482 કમળાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 88 કેસ એક્ટિવ છે અને ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હાલ આરોગ્ય વિભાગની 52 ટીમો કમળા ગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સારવારની કામગીરી કરી રહી છે.
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભાજપની સન્માન રેલી દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. ઢોલ-નગારા અને ડીજેના અવાજથી ભડકેલી એક ગાયે રેલીમાં દોટ મૂકી હતી અને ચારથી પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના ભાજપના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓના સન્માન સમારંભ નિમિત્તે યોજાયેલી રેલીમાં બની હતી.આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓના સ્વાગત માટે કવાંટમાં ઢોલ-નગારા અને બેન્ડ વગાડવામાં આવી રહ્યા હતા. આ ભારે અવાજને કારણે ત્યાં ફરતા પશુઓ વિફર્યા હતા, જેમાં એક ગાયે કાબૂ ગુમાવી રેલીમાં હાજર લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનાથી રેલીમાં થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-10ના વેકેશન દરમિયાન પણ ક્લાસ ચાલુ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની માધ્યમિક સ્કૂલોમાં 846 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને માર્ચ 2027માં આ વિદ્યાર્થીઓ ધોરણ- 10ની બોર્ડ પરીક્ષા આપશે ત્યારે 100 ટકા પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખવા માટે સમિતિએ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા દર મહિને ચાર પ્રશ્નપત્રો લખાવવા, પ્રેક્ટિસ વર્ક, મોટિવેશનલ કાર્યક્રમો અને NEP અનુસાર વ્યક્તિગત કાળજીનું આયોજન કર્યું છે. 100 ટકા રિઝલ્ટ લાવવા શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને પદાધિકારીઓએ કમર કસીખાનગી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મ્યુનિ.સ્કૂલમાં ટ્રાન્સફર થાય છે અને પ્રવર્તમાન સંજોગોમાં જરૂરિયાતને ધ્યાનમાં લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ સમય સાથે તાલ મિલાવવા માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરી દીધી છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ગત વર્ષથી માધ્યમિક શાળા શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે ગયા વર્ષે ધો.9 શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી શૈક્ષણિક વર્ષથી ધો.10ના વર્ગો શરૂ થશે. ધો.10માં મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ 100 ટકા રિઝલ્ટ લાવવાનું પરંપરા જળવાય રહે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો તથા પદાધિકારીઓએ કમર કસી છે. જેના ભાગરૂપે જ તેમણે નવા શૈક્ષણિક સત્રથી શરૂ થનારી ધો.10ના વર્ગો વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં જ ચાલુ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શાળાના આચાર્યો તથા શિક્ષકોને પણ જણાવી દીધું છે. તાજેતરની બેઠકમાં દરેક સ્કૂલના પરિણામની સમીક્ષા, વાંચન, ગણન, લેખન પર ભાર મૂકયો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા વર્ષોથી ધો.1થી 8ની સ્કૂલોનું સંચાલન કરવામાં આવે છે પરંતુ, ગત 2025-26થી માધ્યમિક સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે બીજા વર્ષે ધો.10ની સ્કૂલ શરૂ કરવાનું નક્કી કરાયું હતું. આ નિર્ણયના ભાગરૂપે જ ગત વર્ષથી ધો.9ની 8 શાળાઓ શરૂ કરવામાં આવી હતી. તેમાં કન્યા અને કુમાર થઇને 846 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આગામી નવા શૈક્ષણિક સત્રથી ધો.10ની શાળાનો પ્રારંભ થવાનો છે. આ શરૂ થનારી નવા ધો.10ના વર્ગોને લઇને તાજેતરમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લખધીર દેસાઇ દ્રારા શાળાના આચાર્યો તથા શિક્ષકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે દરેક શાળાઓના પરિણામની સમીક્ષા, વાંચન, ગણન, લેખન પર ભાર મૂકયો હતો. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવાના પ્રયાસ તેમણે વિદ્યાર્થીઓમાં પ્રશ્નપત્રોનો મહાવરા પર ભાર મૂકતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એન.ઇ.પી.( નેશનલ એજ્યુકેશન પોલીસી )માં દરેક વિદ્યાર્થીઓને શીખવાની તકો પ્રાપ્ત થવી જોઇએ. 2020માં શરૂ થયેલી એન.ઇ.પી. પોલીસીને પાંચ વર્ષ પૂરા થતાં હોવાથી વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી લેવા તેમ જ મોટીવેશનલ સ્પીકર દ્રારો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાર વધે અને ભવિષ્યમાં ઉમદા નાગરિક બને તે જોવા હાકલ કરી હતી. સાથોસાથ પરીક્ષાના હાઉ ના રહે તે માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવા માટે જણાવ્યું હતું. એક વર્ષ અગાઉથી ધો.10 માટે તૈયારીઓ શરુજયારે આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (સ્કૂલ બોર્ડ)ના ચેરમેન ડો. સુજય મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની દાણાપીઠ ઓફીસ ખાતે બે દિવસ અગાઉ જ અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત જે માધ્યમિક શાળાઓ ચલાવવામાં આવી રહી છે તેની મીટીંગ મળી હતી. જેમાં ચેરમેન, વાઇસ ચેરમેન વિપુલ સેવક તથા શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઇ, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નિલેશભાઇ પટેલ તથા શિક્ષણવિદ્દ તરીકે જગદીશભાઇ ભાવસાર હાજર હતા. આ મીટીંગમાં આગામી માર્ચ-2027માં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે તે ધો.10ની પરીક્ષામાં ભાગ લેશે. તેના માટે એક વર્ષ અગાઉથી તેની તૈયારી ચાલુ કરવા માટેનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. બધાંનો મત લેવામાં આવ્યો હતો. બધાંના જે સૂચન છે તે મુજબ સર્વાનુમતે અમે નક્કી કર્યું છે તે મુજબ ધો.9માં 846 વિદ્યાર્થીઓનું 100 ટકા રિઝલ્ટ આવે તેના માટે સૌએ સૂચન કર્યું છે અને આ અંગે શિક્ષકોને પણ ધો.9ના વિદ્યાર્થીઓનું 100 ટકા રિઝલ્ટ આવે અને ત્યારબાદ ધો.10ની પરીક્ષા માટે પહેલેથી એપ્રિલ, મે, જૂનમાં વેકેશનની અંદર ધો.10ના વિદ્યાર્થીઓની તૈયારી ચાલુ કરવામાં આવે. પેપરો લખાવવા સહિતનો રોડમેપ કૌટિલ્યના બધાં જ લોકોએ ભેગાં મળીને બનાવ્યો છેતેમાં અલગ-અલગ પ્રેકટીસ વર્ક કરાવવાનું, પેપરો લખાવવા સહિતનો આખો રોડમેપ છે. તેમાં જે વિદ્યાર્થીઓ ધો.10ની પરીક્ષામાં ભાગ લેશે અને પરીક્ષા આપશે તે તમામ વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવે તે માટેનો રોડમેપ કૌટિલ્યના બધાં જ લોકોએ ભેગાં મળીને બનાવ્યો છે. અત્યારે જે ધો.9ની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાના ડરથી દૂર રહે અને તે પરીક્ષાનો ડર તેમને સતાવે નહીં તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા અને એકઝામ વોરિયર જેવા વિષય પર વિદ્યાર્થીઓ સાથે આખો કાર્યક્રમ કરે છે તો અમે તે કાર્યક્રમ વિદ્યાર્થીઓને નિહાળવાનું કહેવાના છીએ તેમજ તેમની સાથે બેસીને નિહાળીશું પણ ખરા અને તેમાં પ્રધાનમંત્રી જે કંઇ સૂચન કરે તેને વિદ્યાર્થીઓ અનુસરે તે પ્રમાણે અમે સૌ પ્રયત્ન કરવાના છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, ધો.10નું નવું શૈક્ષણિક સત્ર જે જૂન મહિનાની આસપાસ આપણે શરૂ કરતાં હોઇએ છીએ, અત્યારે જે ધો.9ની અંદર અભ્યાસ કરે છે તે પાસ થઇને જૂન મહિનામાં ધો.10માં આવશે. મે જેમ અગાઉ કહ્યું તેમ વિદ્યાર્થીઓની પરીક્ષા પતી જાય પછી વેકેશનની અંદર પણ અમે લોકો ધો.10ની તૈયારી કરાવવાનું શરૂ કરી દેવાના છે. જેથી કરીને તેઓ સરસ રીતે તૈયારી કરી શકે અને તેમનું ભાવિ નિર્માણ કરી શકે.
ખેડબ્રહ્માથી હિંમતનગર વચ્ચેના ઇલેક્ટ્રિફિકેશન લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ દરમિયાન ઇલેક્ટ્રિક લોકોએ 55 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપીને હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચી હતી. આ પહેલા PCEE દ્વારા ઇલેક્ટ્રિક લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન અને CRS (કમિશનર ઓફ રેલવે સેફ્ટી) બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 8 જાન્યુઆરીના રોજ PCEE (પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) રજનીશકુમાર ગોયેલ દ્વારા 'પરખ ઇન્સ્પેક્શન કાર'માં ઇલેક્ટ્રિક લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રિક લોકો સાથેનું ટ્રાયલ ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી બપોરે 3:30 વાગ્યે શરૂ થયું હતું. આ ટ્રાયલ દરમિયાન ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખેડબ્રહ્મા અને ઇડર થઈને હિંમતનગર પહોંચી હતી. 55 કિલોમીટરનું અંતર કાપીને ટ્રેન સાંજે 4:15 વાગ્યે હિંમતનગર પહોંચી હતી. ત્યારબાદ PCEE સાથેની 'પરખ ઇન્સ્પેક્શન કાર' અસારવા જવા રવાના થઈ હતી. આ સફળ ટ્રાયલ બાદ આગામી દિવસોમાં ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા વચ્ચે MEMU (મેઇનલાઇન ઇલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ) ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે.
CA ડો. જૈનીક વકીલને મળી નવી જવાબદારી:રિજનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઈઝરી કમિટીમાં નિમણૂક
જાણીતા C.A ડો. જૈનીક વકીલની રિજનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થયેલ છે. આ કમીટીનું કાર્યક્ષેત્ર ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ તેમજ દીવ રહશે. આ કમીટી ઈન્કમટેક્સ ની બાબતોમાં એડવાઈઝરી બોડી તરીકે કાર્ય કરશે. આ કમીટી કરદાતાઓ તેમજ આવકવેરા વિભાગ વચ્ચેની વહીવટ અને procedural મુશ્કેલીઓનું નિવારણ કરવાનું કાર્ય કરશે. આ કમીટી નિર્ધારિત ક્ષેત્રના કરદાતાઓ તેમજ આવકવેરા વિભાગ વચ્ચે બની સહયોગ વધારશે. તેમજ પરસ્પર સહમતીના કાર્યને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત કમીટીમાં સાંસદ, સ્ટેટ ગર્વમેન્ટના પ્રતિનિધિ, વકીલો, યુનિવર્સિટીના પ્રતિનિધિ તેમજ બેંક મેનેજર એમ વિવિધ ક્ષેત્રના મેમ્બર્સ પણ લેવામાં આવ્યા છે.
દીવાન-બલ્લુભાઈ શાળાનો ૧૧૯મો સ્થાપના દિન તાજેતરમાં ઉજવાયો હતો. આ પ્રસંગે કાંકરિયા અને પાલડી સ્થિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. કેળવણીકારો સ્વ. જીવણલાલ દીવાન અને સ્વ. બલ્લુભાઈ ઠાકોરે 6 જાન્યુઆરી, 1908ના રોજ આ શાળાની સ્થાપના કરી હતી, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, સંસ્કાર અને કલાનો સમન્વય કરવાનો હતો. આ વાર્ષિકોત્સવ બે દિવસ દરમિયાન 4 સત્રોમાં યોજાયો હતો. તેમાં 8 શાળાઓના 10,000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાયેલા 1005 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ 4 અલગ-અલગ થીમ પર કુલ 65 વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. દરેક સત્રનો પ્રારંભ પૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય, વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના અને વંદે માતરમની પ્રસ્તુતિ સાથે થયો હતો. સંસ્કૃતિ દર્પણ 2026 શીર્ષક હેઠળના આ કાર્યક્રમમાં શાળાનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 જુદાં જુદાં સત્રોમાં વિવિધ થીમ પર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી.'રંગોત્સવ' થીમ અંતર્ગત વિશ્વંભરી સ્તુતિ, મહિષાસુર મર્દન, અને વિવિધ રાજ્યોના તહેવારો જેવા કે હોળી, ગુડી પડવો, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, રાધા કૃષ્ણ રાસ, અને મકરસંક્રાંતિની ઉજવણી દર્શાવવામાં આવી. આ ઉપરાંત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો દ્વારા ઉત્તરાયણની ઉજવણી, માતૃ-પિતૃ વંદના, અયોધ્યામાં શ્રી રામના આગમન પૂર્વેના વધામણાં, મોબાઈલની લતના દુષ્પરિણામોનું માઈમ અને મહાકુંભ જેવા વિષયો પર પણ પ્રસ્તુતિઓ થઈ. 'ટ્રાવેલ લાઈન' થીમમાં ચિરંજીવી અશ્વત્થામા દ્વારા પ્રાચીન ગુફા યુગથી લઈને 2025 સુધીની ઘટનાઓ રજૂ કરાઈ. જેમાં દ્રૌપદી ચીર હરણ, ગરબા ટ્રેડિશન ટુ ટ્રેન્ડ, પ્રાચીન અને અર્વાચીન નૃત્યોનો ફ્યુઝન ડાન્સ, ઓપરેશન સિંદૂર, ચંદ્રયાન-૩નું દર્શન અને નરેન્દ્ર મોદીની વેશભૂષામાં ભાષણનો સમાવેશ થતો હતો. 'ગૌરવવંતું ગુજરાત' થીમ હેઠળ નરેન્દ્ર મોદી રચિત 'ગાય એનો ગરબો', પ્રાચીન ગરબો, જૂનાગઢ-કાશ્મીર-હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે સરદાર પટેલની દ્રઢતા દર્શાવતું નાટક, ઝવેરચંદ મેઘાણી રચિત 'ચારણ કન્યા'ની નાટ્ય પ્રસ્તુતિ, અમદાવાદના વારસા દર્શનમાં પ્રાચીન દરવાજાઓનો પરિચય, રાસ અને ડાયરો જેવી કૃતિઓ રજૂ થઈ. 'નવરસ' થીમ અંતર્ગત શ્રૃંગાર, વીર, કરુણા, હાસ્ય, બિભત્સ, રૌદ્ર, શાંત, અદ્ભુત અને ભયાનક રસ જેવા જીવનના નવ મનોભાવોને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.કાર્યક્રમના સમાપનમાં, શાળાના સહસ્થાપકો સ્વ. જીવણલાલ દીવાન અને સ્વ. બલ્લુભાઈ ઠાકોરના પાત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ ગાંધી યુગના ખાદીના વસ્ત્રોમાં સંવાદો રજૂ કર્યા હતા.
યુનિવર્સિટીમાં કોતરકામ વર્કશોપ યોજાયો:વિદ્યાર્થીઓએ સિપોરેક્સ, લાકડા અને પથ્થરમાંથી શિલ્પો બનાવ્યા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સના સ્કલ્પ્ચર વિભાગ દ્વારા કોતરકામ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગની ૨૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ વર્કશોપ યોજાયો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના કુલ ૨૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સિપોરેક્સ, લાકડા અને પથ્થરમાંથી વિવિધ પ્રકારના શિલ્પો બનાવ્યા હતા. સ્કલ્પ્ચર વિભાગમાં 2015થી પરંપરાગત કોતરકામ દ્વારા શિલ્પો બનાવવામાં આવે છે. 210 એકરમાં ફેલાયેલા યુનિવર્સિટી કેમ્પસમાં કુદરતી રીતે તૂટી પડેલા વૃક્ષોના લાકડા, સ્થાનિક પથ્થરો અને સિપોરેક્સ જેવી સ્થાનિક બાંધકામ સામગ્રીનો ઉપયોગ શિલ્પો બનાવવા માટે થાય છે. વિદ્યાર્થીઓ છીણી, હથોડી અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને શિલ્પો તૈયાર કરે છે. આ શિલ્પોમાં આસપાસના વાતાવરણમાંથી પ્રેરણા લઈને ઝાડ, પાન, પશુ-પક્ષીઓ અને માનવ સંબંધો જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. શિલ્પો બનાવતા પહેલા વિદ્યાર્થીઓ ડ્રોઇંગ અને સ્કેલ મોડલ તૈયાર કરે છે. ત્યારબાદ સિપોરેક્સ, લાકડા અને પથ્થરનો ઉપયોગ કરીને અંતિમ શિલ્પોને આકાર આપવામાં આવે છે. આ પદ્ધતિ ભારતમાં અને ઇટાલીમાં વર્ષોથી પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી કોતરકામની પદ્ધતિ જેવી જ છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ કુદરતી પર્યાવરણનું જતન કરવાની સાથે ભારતની પ્રાચીન કોતરકામ કલાનું સંરક્ષણ પણ કરી રહ્યા છે. કોતરકામ પૂર્ણ થયા પછી, શિલ્પોને કાનસ અને અન્ય પાવર ટૂલ્સનો ઉપયોગ કરીને ફિનિશિંગ અને પોલિશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી શિલ્પો આકર્ષક બને છે અને તેમની ટકાઉપણું વધે છે.આ વર્કશોપમાં પરંપરાગત કોતરકામ કલાના નિષ્ણાતોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું હતું. ઉદવાડા, ગુજરાતના 20 વર્ષના અનુભવી કલાકારોએ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી.
એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશન (LJIMC) દ્વારા 6 જાન્યુઆરી, 2026ના રોજ 'ઈમોશનલ વેલનેસ' વિષય પર એક વિશેષ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયના માનસિક તણાવ વચ્ચે ભાવનાત્મક સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. બરોડા સાયકોલોજી એસોસિએશનના નિષ્ણાત ડો. ધ્વનિ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વેબિનારની શરૂઆતમાં સંસ્થાના ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોનીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે મીડિયા અને કોમ્યુનિકેશન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સફળતા સાથે ભાવનાત્મક સ્વાસ્થ્ય સારું હોવું અત્યંત જરૂરી છે, જેથી તેઓ સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે. ડૉ. સોનીએ ઉમેર્યું કે LJIMC વિદ્યાર્થીઓના સર્વાંગી અને માનસિક વિકાસ માટે આવા માર્ગદર્શક કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે. મુખ્ય વક્તા ડો. ધ્વનિ પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, માનસિક સ્વાસ્થ્ય એ માત્ર રોગની ગેરહાજરી નથી, પરંતુ આપણી લાગણીઓને સમજવાની અને તેને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવાની ક્ષમતા છે. તેમણે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના પ્રભાવ, શૈક્ષણિક દબાણ અને અંગત જીવનમાં સંતુલન જાળવવા માટેની વિવિધ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. વેબિનારના અંતે, ડો. પટેલે વિદ્યાર્થીઓના મુંઝવતા પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા. આ વેબિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ફેકલ્ટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે શ્રુતિકા કોઠારીએ એન્કરિંગ કર્યું હતું.
ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત રોલ બોલ સ્પર્ધામાં A-ONE SCIENCE ACADEMYના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી મોહિત પરમારએ રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને સંસ્થા અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. મોહિત પરમારની આ સિદ્ધિ તેમના સતત પરિશ્રમ, રમત પ્રત્યેની નિષ્ઠા અને શિસ્તબદ્ધ તાલીમનું પરિણામ છે. તેમની આ સફળતાએ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે.આ નોંધપાત્ર સિદ્ધિ બદલ A-ONE SCIENCE ACADEMYના સંચાલકો અને માર્ગદર્શક શિક્ષકો ગૌતમ સર, પંકજ સર અને બીએમબી સર દ્વારા મોહિત પરમારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સંસ્થાના તમામ ફેકલ્ટી સભ્યોએ પણ તેમની સફળતા બદલ આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો હતો.A-ONE SCIENCE ACADEMY હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે. સંસ્થા અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.
બ્રાઈટ ડે સ્કૂલ, CBSE, વાસણા દ્વારા 8 જાન્યુઆરી, 2026ના રોજ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સર સયાજી નગરગૃહ ખાતે યોજાયો હતો.આ વાર્ષિકોત્સવમાં ધોરણ 6 થી 12ના આશરે 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું શીર્ષક 'Dashaavtaar 2.0 reinterpreted' રાખવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ નૃત્ય અને નાટ્યની સંગીતમય રજૂઆત દ્વારા ભગવાન વિષ્ણુ ના દસ અવતારનું આકર્ષક પ્રદર્શન કરી પ્રેક્ષકોનું હૃદય જીતી લીધું હતું. આ પ્રસ્તુતિઓનો મૂળ સંદેશ એ હતો કે આજના યુગમાં પણ આપણી એટલે કે મનુષ્યોની અંદર રહેલી શક્તિ, અવતારો ને યોગ્ય રીતે જાગૃત કરવામાં આવે, તો આજે પણ આપણે ખુદ ઘણા સંકટોમાંથી મુક્ત થઈ શકીએ અને વધારે સારું જીવન જીવી શકીએ. આ કાર્યક્રમમાં શાળાના જે બાળકોએ શાળા કક્ષાએ ભણવામાં, રમતોમાં અને ઈતર પ્રવૃત્તિઓમાં અવ્વલ નંબરે આવેલ હતા. તે બાળકોને ઈનામ શાળાના પ્રેસીડેન્ટ સૌમિલ શાહ અને મહેશભાઈ પાંડે DEO, વડોદરાએ આપ્યા હતા.શાળાના ટ્રસ્ટીગણ અને વાલીઓએ આ વાર્ષિકોત્સવને માણ્યો અને વખાણ્યો હતો.
મહીસાગરમાં પાક નુકસાની સહાયનું 95 ટકા વિતરણ પૂર્ણ:ખેડૂતોના ખાતામાં રૂ. 135.28 કરોડ જમા થયા
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને સહાય વિતરણની કામગીરી 95 ટકા પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 57,000 ખેડૂતોના ખાતામાં કૂલ રૂ. 135.28 કરોડની સહાય જમા કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યના ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત મહીસાગર જિલ્લામાં પાક નુકસાની સહાય માટે કુલ 59,408 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા સર્વે અને ચકાસણી બાદ 57,000 અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આ સહાય વિતરણથી મહીસાગર જિલ્લાના હજારો ખેડૂત પરિવારોને આર્થિક ટેકો મળ્યો છે અને ખેતીના નુકસાન સામે મોટી રાહત પ્રાપ્ત થઈ છે.
આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર અમદાવાદમાં ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લેવાના છે. બે દિવસની બંને મહાનુભાવોની મુલાકાતને લઈને આજથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ આજે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જર્મન ચાન્સેલર અમદાવાદ ખાતે આવેલી ITC નર્મદા હોટેલ ખાતે રોકાય તેવી સંભાવના છે. પોલીસ કમિશનર જી.એસ મલિક, સેક્ટર 1 JCP નીરજ બડગુજર, જેસીપી એન.એન ચૌધરી, ડીસીપી ઝોન 1 હર્ષદ પટેલ, ડીસીપી ભાવના પટેલ સહિતના અધિકારીઓએ રિવરફ્રન્ટ, મેટ્રો સ્ટેશન, ગાંધી આશ્રમની મુલાકાત લઈ સુરક્ષા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. 11મીએ સાંજે વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાત લેશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરના સંભવિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીએ રાજકોટથી સીધા અમદાવાદ ખાતે આવશે. 11મીએ સાંજે વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જર્મનના ચાન્સેલર પણ અમદાવાદ ખાતે આવશે જ્યાં વડાપ્રધાન તેમને આવકારવા જશે, જ્યાંથી બંને મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લેશે. 12મી તારીખે સવારે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. જે બાદ અમદાવાદના ઇન્કમટેક્સ પાસે આવેલા ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જશે. કાઈટ ફેસ્ટિવલ અને ગાંધી આશ્રમ ખાતે તૈયારીઓ શરૂવડાપ્રધાન અને જર્મનના ચાન્સેલરના અમદાવાદમાં બે દિવસના કાર્યક્રમને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગાંધી આશ્રમ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ સાબરમતી રિવરફ્રન્ટના કાઈટ ફેસ્ટિવલ પર પણ તૈયારીઓ ચાલી રહી છે. આજે રાજ્યના ચીફ સેક્રેટરી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગાંધી આશ્રમ પ્રોજેક્ટના અધિકારીઓ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની સમીક્ષા તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હતી. અમદાવાદ શહેરની હેરિટેજ જગ્યાઓના બેનરો લગાવવામાં આવ્યા12મી તારીખે સવારે કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જર્મન ચાન્સેલર અને વડાપ્રધાન કરવાના છે. જેને લઇને પણ ત્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમગ્ર તૈયારીઓ હાલ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાનના રૂટ ઉપર રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, નવી ફૂટપાથ નાખવામાં આવી રહી છે, રોડની દીવાલોને કલર કરવામાં આવી રહી છે. નવરંગપુરા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ચાર રસ્તા પાસે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુ પણ મોટા બેનર મારીને મંદિરને ઢાંકી દેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની હેરિટેજ જગ્યાઓના બેનરો લગાવવામાં આવ્યા છે.
મહેસાણાની શ્રી વી.આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાની ધોરણ 7ની વિદ્યાર્થીની ગોસ્વામી પ્રાર્થના હર્ષદગિરીએ ઓલ ઇન્ડિયા નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન 2026માં ગોલ્ડ મેડલ જીતીને શાળા, જિલ્લો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં સમગ્ર ભારતના 20 રાજ્યોમાંથી આવેલા સ્વિમિંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રાર્થનાએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક હાંસલ કર્યો.તેની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે ગોસ્વામી પ્રાર્થનાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
નવા નરોડા, હંસપુરા સ્થિત એસ.પી. જેનેસીસ સ્કૂલ ખાતે 4 અને 5 જાન્યુઆરી, 2026ના રોજ એજ્યુકેશન આધારિત સ્પેક્ટ્રમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થા દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો.આ એક્સપોને સફળ બનાવવા માટે છેલ્લા 15 દિવસથી શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સઘન મહેનત કરી હતી. કાર્યક્રમમાં 2000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. તેમણે પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરતી વિવિધ કલાકૃતિઓ શાળાના પટાંગણમાં રજૂ કરી હતી. આ કલાકૃતિઓમાં ગામડાનું દ્રશ્ય, હનુમાન ચાલીસા, શ્રી રામચંદ્ર ભગવાનની ઝાંખી તેમજ વિજ્ઞાન સંબંધિત મોડેલોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનો શુભારંભ સવારે 8:30 કલાકે અમદાવાદ શહેરના ડી.ઈ.ઓ. રોહિતભાઈ ચૌધરી, ગ્રામ્યના ડી.ઈ.ઓ. ભગવાનભાઈ પ્રજાપતિ, પૂર્વ બોર્ડ મેમ્બર કનુભાઈ પટેલ, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, પંકજભાઈ પટેલ અને બીપીનભાઈ આદરોજા દ્વારા કરવામાં આવ્યો હતો. નિકોલ, નરોડા, હંસપુરા અને ઓઢવ વિસ્તારના નાગરિકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત સૌએ બાળકોની કલાકૃતિઓ અને આયોજનની પ્રશંસા કરી હતી.કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ પટેલે આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજી બાળકોમાં પ્રમાણિકતા, સંસ્કાર અને શિસ્ત જેવા ગુણોનો વિકાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર અને નૃત્ય વિભાગ દ્વારા નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ BSF, ગુજરાત ટુરિઝમ અને નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. તેમણે એક પાત્ર અભિનય સ્પર્ધા અને સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. આ નૃત્ય-નાટિકામાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધ લોકનૃત્યોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા હતા. શૈક્ષણિક ફિલ્ડ ટ્રિપના ભાગરૂપે, વિદ્યાર્થીઓને સરહદ પર ભારતીય સેના અને BSFની કાર્યપ્રણાલી વિશે મહત્વપૂર્ણ જાણકારી પણ મળી. આ અનુભવથી તેમને દેશની સુરક્ષા વ્યવસ્થા વિશે ઊંડી સમજ પ્રાપ્ત થઈ.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી અંજુ સિંઘના માર્ગદર્શન હેઠળ શાળાના થિયેટર શિક્ષક યાજ્ઞિક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગોધરા શહેરના ભરચક સ્ટેશન રોડ વિસ્તારમાં નશામાં ધૂત ટ્રક ચાલકે આઈશર ટ્રકનું સ્ટેરીંગ છોડતા અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ટ્રકમાંથી એક ચાલક સ્ટેરીંગ છોડી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે ટ્રક અનિયંત્રિત બની હતી. આ અનિયંત્રિત ટ્રક પહેલા એક સર્કલ સાથે અને ત્યારબાદ નજીકમાંથી પસાર થઈ રહેલા એક ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આસપાસના લોકોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનો રોષ જોઈ મુખ્ય ટ્રક ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, ટ્રકમાં સવાર બીજા ચાલકે સ્થળ પર જ કબૂલાત કરી હતી કે, અમે બંનેએ નશો કર્યો છે. આ કબૂલાતથી ઘટનાનું કારણ સ્પષ્ટ થયું હતું.
નિશાચર ઘુવડ ચાઈનીઝ દોરીમાં ફસાયું:એનિમલ લાઈફ કેર દ્વારા રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
હાટકેશ્વર વિસ્તારમાં એક નિશાચર ઘુવડ ચાઈનીઝ દોરીમાં ફસાઈ ગયું હતું. એનિમલ લાઈફ કેરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘુવડનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એનિમલ લાઈફ કેરની ટીમને હાટકેશ્વર વિસ્તારમાંથી ઘુવડ ચાઈનીઝ દોરીમાં ફસાયા હોવાનો કોલ મળ્યો હતો. ટીમના સભ્યો વિજય ડાભી સહિત તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘુવડને સુરક્ષિત રીતે દોરીમાંથી મુક્ત કર્યું હતું.રેસ્ક્યુ બાદ ઘુવડને વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરીના કારણે પક્ષીઓને ઈજા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ પતંગ રસિયાઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો ક્યાંય પણ પક્ષી દોરીમાં ફસાયેલું જોવા મળે, તો જાતે ઉતારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેના બદલે એનિમલ હેલ્પલાઈન, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવો હિતાવહ છે.
KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સુરત દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેલવડ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર કમ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઠંડીના સમયમાં વંચિત વિદ્યાર્થીઓને હૂંફ અને સંભાળ પૂરી પાડવાના હેતુથી યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. શાળા પરિવાર, આઠમણા ફળીયા વેલવડ ગામના આચાર્ય, સરપંચ અને ગ્રામજનોએ સંસ્થાના આ સેવાભાવી પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અગાઉ પણ વિવિધ સામાજિક અને માનવીય સેવાકાર્યો કરતું રહ્યું છે. સમાજ પ્રત્યે સેવાભાવના જાળવી રાખવી એ સંસ્થાની મુખ્ય પ્રાથમિકતા રહી છે.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ જગાણા ગામના એક યુવકની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં જડબાની સફળ સર્જરી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો અંદાજિત 50 હજાર રૂપિયાનો ખર્ચ જણાવવામાં આવ્યો હતો, જ્યારે સિવિલ હોસ્પિટલમાં યુવકને સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર મળી. થોડા દિવસો પહેલા યુવક પોતાના ગામના બસ સ્ટેશન નજીક અચાનક ચક્કર આવતા પડી ગયો હતો. આ ઘટનામાં તેના મોઢા અને નાકમાંથી લોહી નીકળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ તેને સામાન્ય ઘટના માની અવગણના કરી હતી. જોકે, રાત્રે મોઢા પર ભારે સોજો દેખાતા બીજા દિવસે પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં તપાસ કરતા તબીબે પડવાથી જડબાનું ફ્રેક્ચર થયું હોવાનું નિદાન કર્યું. ખાનગી હોસ્પિટલે આ સારવાર માટે આશરે 50 હજાર રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું, જે મધ્યમવર્ગીય પરિવાર માટે પોષાય તેમ ન હોવાથી તેઓ પ્રાથમિક સારવાર બાદ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ સગાસંબંધીઓની સલાહ મુજબ, યુવકને પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ખાનગી વાહન દ્વારા લાવવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં તેની તપાસ કરવામાં આવી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને ડેન્ટલ વિભાગીય વડા ડૉ. સ્વાતિબેન, ડૉ. ટ્વિંકલબેન ચૌધરી, ડૉ. ઉમંગ મોઢ સહિતની તબીબી ટીમે તપાસ કરી. મોઢાના ભાગનું જડબું તૂટી ગયેલું હોવાનું નિદાન થતાં જરૂરી રિપોર્ટ કરાવી જડબાની સર્જરી કરવામાં આવ્યો. તૂટેલા હાડકાને વાયરની મદદથી જોડીને ટાંકા લેવામાં આવ્યા. બે દિવસની સારવાર બાદ ત્રીજા દિવસે સફળ અને સંપૂર્ણ નિ:શુલ્ક સર્જરી પૂર્ણ થઈ. સારવાર લીધેલ વક્તિએ જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાં 50 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થવાનો હતો, જ્યારે બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર મળતા તેઓ અને તેમનો પરિવાર ડોકટરો અને નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, બનાસના પશુપાલકોના આર્થિક યોગદાનથી નિર્માણ પામેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુરમાં મેડિસિન, સર્જિકલ, ઈ.એન.ટી., સ્કિન, ડેન્ટલ અને ઓર્થોપેડિક જેવા વિભાગોમાં આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર કાર્યરત છે. બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ ગલબાભાઈ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટના ચેરમેન પી.જે. ચૌધરીની દેખરેખમાં હોસ્પિટલમાં ઉચ્ચકોટીની સારવાર અપાઈ રહી છે, જ્યાં રોજે રોજ એક હજારથી વધુ દર્દીઓ સારવાર મેળવે છે.
VIP એજ્યુકેશન કેમ્પસમાં 18મો વાર્ષિકોત્સવ યોજાયો:નિકોલ ખાતે બાળકોએ અદભુત પ્રદર્શન કર્યું
વીઆઈપી એજ્યુકેશન કેમ્પસ નિકોલ દ્વારા 6 જાન્યુઆરી, 2026, મંગળવારના રોજ 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ વસ્ત્રાલ સ્થિત શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં રાખવામાં આવ્યો હતો. બાળ વર્ગથી ધોરણ 4 સુધીના 350થી વધુ બાળકોએ આ વાર્ષિકોત્સવમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બાળકો દ્વારા કરવામાં આવેલી એન્કરિંગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાતી માધ્યમના બાળકોએ અંગ્રેજીમાં એન્કરિંગ કરીને ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. કેટલાક બાળકોએ અંગ્રેજી ભાષામાં નાટક પણ રજૂ કર્યું હતું.બાળ વર્ગના બાળકોની કેટલીક માતાઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ગણેશ વંદના રજૂ કરી હતી. બાળ વર્ગથી ધોરણ 4ના બાળકોએ સુંદર નૃત્યો દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. એન્કરિંગ કરી રહેલા બાળકોએ અંગ્રેજીની સાથે સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ એન્કરિંગ કરીને તેમની ભાષાકીય કુશળતા દર્શાવી હતી. આ બાબતને વાલીઓએ પણ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ અને શાળાના આચાર્ય વનિતાબેન દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડોક્ટર રાજેશ પટેલ દ્વારા બે મિનિટની બોધવાર્તા રજૂ કરવામાં આવી હતી. શાળાના જે બાળકોએ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ દરમિયાન એક પણ રજા ન લીધી હોય, તેમને '100% એટેન્ડન્સ એવોર્ડ' આપવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને 'ટોપર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીઆઈપી એજ્યુકેશન કેમ્પસ દ્વારા નિયુક્ત કરાયેલી Langdumની ટીમના છ મહિનાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી માધ્યમના બાળકો હવે અંગ્રેજીમાં વાતચીત અને એન્કરિંગ કરી શકે છે. આ તાલીમ પ્રવાહ ભવિષ્યમાં પણ બાળકોને મળતો રહેશે, જે શાળાના શૈક્ષણિક પરિણામોને વધુ સુધારવામાં મદદ કરશે.
વડોદરામાં ‘કરૂણા અભિયાન-2026’નો પ્રારંભ:ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગ સજ્જ
'જીવો, જીવવા દો અને જીવાડો'ના ઉમદા મંત્ર સાથે વડોદરા વન વિભાગ દ્વારા આગામી 10 થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન 'કરૂણા અભિયાન'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વમાં પતંગની ઘાતક દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લાના દરેક તાલુકા મથકે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી 40 થી વધુ પક્ષી બચાવ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. આ કેન્દ્રો પર પક્ષીઓની હેરફેર માટે 10 બાસ્કેટ અને પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. વડોદરા શહેરમાં ભૂંતડીઝાપા વેટરનરી હોસ્પિટલ,પંડ્યા બ્રિજ પાસેની વેટરનરી હોસ્પિટલ, સયાજીબાગ નર્સરી અને રેસ્ક્યુ સેન્ટર એમ મુખ્ય ત્રણ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે: સયાજીબાગ રેસ્ક્યુ સેન્ટર ખાતે 3 અત્યાધુનિક ઓપરેશન થિયેટર, 2 રેસ્ક્યુ વાન અને આણંદના 15 પ્રશિક્ષણાર્થી તબીબો સહિત નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ ખડેપગે રહેશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2020 થી 2025 દરમિયાન કુલ 6,407 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 5,806 પક્ષીઓને સફળ સારવાર આપી જીવનદાન અપાયું છે. આ પક્ષીઓમાં મુખ્યત્વે કબૂતર અને 5 થી 10 ટકા જેટલા શિડ્યુલ બર્ડ્સ (બાજ, સમડી, વોટર બર્ડ્સ) નો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે, દુનિયાનું સૌથી ઝડપી પક્ષી ગણાતા 'શકરોબાજ' પણ વડોદરામાં જોવા મળ્યા છે અને તેમની સારવાર પણ કરવામાં આવી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો નીચેના નંબરો પર સંપર્ક કરવો: વડોદરા લોકલ ટોલ ફ્રી: 1800 233 2636 મોબાઈલ નંબર્સ: 94295 58883 / 94295 58886 રાજ્ય કક્ષાની હેલ્પલાઈન: 1926 વોટ્સએપ/મિસકોલ: 8320002000 આ અભિયાનમાં 500 થી વધુ સ્વયંસેવકો જોડાશે. ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા ન બને તે માટે વન વિભાગે પ્રકૃતિપ્રેમીઓને જાગૃત રહેવા વિનંતી કરી છે.
કણભા ગુરુકુળના સંતોનું કચ્છમાં સત્સંગ વિચરણ:ધનુર્માસ સમાપ્તિ અને દિવ્ય સત્સંગ સભાનું આયોજન
કણભા ગુરુકુળના સ્થાપક ધ્યાની સ્વામીના સંસ્કારમૂલ્યો સમાજ સુધી પહોંચાડવા માટે સંતો દ્વારા કચ્છમાં સત્સંગ વિચરણ ચાલી રહ્યું છે. આ વિચરણ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો હરિભક્તોના ઘરે, દુકાને અને ઓફિસમાં પધરામણી કરી રહ્યા છે. આ સત્સંગ વિચરણનો મુખ્ય કાર્યક્રમ રવિવારે ભુજ ખાતે યોજાશે. અહીં ધનુર્માસ સમાપ્તિ અને દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કણભા ગુરુકુળના સંતોએ અંજાર મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અંજાર મંદિરના મહંત કૃષ્ણપ્રિય સ્વામી (KP સ્વામી)એ જણાવ્યું હતું કે, ધ્યાની સ્વામીએ વાગડ વિસ્તારમાં સત્સંગનો વ્યાપ વધાર્યો હતો. આ પ્રસંગે દર્શનપ્રકાશ સ્વામી, વાત્સલ્યમુનિ સ્વામી, ઉપમહંત સ્વામી ભગવતજીવન સ્વામીના સંત મંડળના વડીલ સંત અક્ષરપ્રકાશ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધ્યાની સ્વામીના જૂના પ્રસંગો યાદ કર્યા હતા. કણભાધામના હરિકૃષ્ણ મહારાજ સેવક મંડળના મુખ્ય સંત પુરાણી ન્યાલકરણદાસ સ્વામી, શાસ્ત્રી ભક્તવત્સલદાસજી સ્વામી અને મેનેજિંગ ટ્રસ્ટી પુરાણી ધર્મરક્ષકદાસ સ્વામી સહિતનું સંત મંડળ આ વિચરણમાં જોડાયું છે. આ સત્સંગ વિચરણ 11 જાન્યુઆરી, રવિવાર સુધી ચાલશે. કચ્છમાં સત્સંગ વિચરણ દરમિયાન સંતો શ્રીજી સત્સંગ ટ્રસ્ટ સંચાલિત શુભસંસ્કાર કેન્દ્રો જેવા કે ભુજ, માધાપર, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર અને માંડવીમાં ધનુર્માસની ધૂન અને કથાવાર્તાનો લાભ આપી રહ્યા છે. આદિપુર અને ભચાઉ ખાતે ભવ્ય સત્સંગ સભાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો અને હરિભક્તોએ હાજરી આપી હતી.
CMA 2025નું ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025માં લેવાયેલી પરીક્ષામાં 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જૂન 2025માં લેવાયેલી પરીક્ષામાં 184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી શહેરનું નામ રોશન કર્યું છે. CMA માં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની ભાગીદારી અને પરિણામો પરથી એવું સમજી શકાય છે કે વિદ્યાર્થીઓનો રસ ખૂબ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓની સફળતા પાછળ તેમની મહેનત, માર્ગદર્શન આપનાર શિક્ષકો અને પરિવારનો સહયોગ મહત્વનો રહ્યો છે. આ પરિણામો ભાવિ CMA વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. પરિણામમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છેડિસેમ્બર 2025માં CMAના 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 470 વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ અમદાવાદનું પરિણામ 80.34 ટકા આવ્યું છે. તો જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષા દરમિયાન 184 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 104 વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ અમદાવાદનું પરિણામ 56.52 ટકા જોવા મળ્યું છે. જેથી કહી શકાય છે કે, પરિણામમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં પ્રથમ મોદીને 400માંથી 332 માર્ક્સ મેળવી અમદાવાદમાં પ્રથમ ક્રમે આવ્યો છે. બીજા ક્રમે આવનાર મન શાહને 400 માંથી 330 માર્ક્સ આવ્યા છે. ત્રીજા ક્રમે આવનાર તીર્થ જૈનને 400માંથી 326 માર્ક્સ આવ્યા છે. ચોથા ક્રમે આવનારા શ્રેયાંશ રાજપૂત અને ઋત્વિક પીઠવાને 400માંથી 322 માર્ક્સ આવ્યા છે. આ વિદ્યાર્થીઓ અમદાવાદમાં સૌથી વધુ ટોપ પર રહ્યા છે. CMAની શરૂઆત કરી આજે અમદાવાદમાં પ્રથમ રેન્ક મેળવ્યો પ્રથમ મોદીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. દરરોજ લેક્ચર એટેન્ડ કરીને તૈયારી કરતો હતો. ફ્રી સમયમાં મજા કરીને તૈયારીના સમયમાં તૈયારી કરતો હતો. જેથી, વધારે મુશ્કેલી પડી ન હતી. ફેમિલીમાં મારા દાદાથી લઈને તમામ લોકો એકાઉન્ટન્ટ છે. મેં ધોરણ 10 પછી સાયન્સ કર્યું હતું, જે બાદ કેનેડા ગયો હતો. જ્યાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. જે બાદ કોમર્સ વધારે કમ્ફર્ટેબલ લાગતા પરત આવી તેની તૈયારી શરૂ કરી હતી. નવેસરથી CMA ની શરૂઆત કરી આજે અમદાવાદમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. હવે ફાઈનલમાં પણ રેન્ક આવી જાય એ માટેની મહેનત કરીશ. ગુજરાતમાં અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતીઅમદાવાદ બ્રાન્ચના ચેરમેન મિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, CMA ફાઉન્ડેશનની પરીક્ષા 14 ડિસેમ્બરના રોજ લેવાઈ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ બ્રાન્ચનું પરિણામ ઘણું સારું આવ્યું છે. જેમાં પ્રથમ મોદીએ અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં અંદાજે 2500 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. કોમર્સ અને ઇકોનોમીના કારણે CMAની પણ માંગ વધી રહી છે. ફાયનાન્સ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, મેનેજમેન્ટ સહિતના વિષયો ભણાવવામાં આવે છે તેમજ દર ચાર વર્ષે સિલેબસમાં પણ બદલાવ કરવામાં આવે છે.
ગુજરાતની સંસ્કારનગરી વડોદરાના આંગણે આજે એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘટના આકાર પામી છે. સૌરાષ્ટ્રની લુપ્ત થતી પ્રાચીન મોતીકામ અને ભરતકામની કલાને જીવંત રાખવા માટે ડૉ. ગીતા શેઠ ભટ્ટ દ્વારા સ્થાપિત પ્રથમ 'ગૃહ સંગ્રહાલય' અને પ્રવૃત્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ પાછળ ડૉ. ગીતાબેનની 50 વર્ષની અથાક મહેનત અને સમર્પણ રહેલું છે. અડધી સદી પહેલા જ્યારે તેમણે જોયું કે સૌરાષ્ટ્રના અમૂલ્ય મોતીકામના નમૂનાઓને કાપીને પ્રવાસીઓને સસ્તા સંભારણા તરીકે વેચવામાં આવતા હતા, ત્યારે તેમણે આ વારસાને બચાવવાનો સંકલ્પ કર્યો હતો. પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં ભ્રમણ કરીને તેમણે મોતીકામ અને હસ્તકલાના અજોડ નમૂનાઓ એકત્ર કર્યા છે. આશરે 3 સદીઓ પહેલા, ઇટાલીથી આફ્રિકા થઈને આવતા સ્ફટિક મોતીઓ પર સૌરાષ્ટ્રની મહિલાઓ પોતાની આંગળીઓના જાદુથી અદ્ભુત કલાકૃતિઓ કંડારતી હતી. જે તે સમયે દીકરીઓને દહેજમાં આપવામાં આવતી આ કલાત્મક ભેટો માત્ર સુશોભન નહીં, પરંતુ લાગણીઓ અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક હતી. ભારતની સ્વતંત્રતા બાદ સ્થાનિક ઉત્પાદન વધ્યું, પરંતુ ઇટાલિયન મોતીની એ મૂળ ચમક અને ગુણવત્તા ધીમે-ધીમે વિલુપ્ત થવા લાગી હતી. 8 જાન્યુઆરીના રોજ 'વારસો ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આ સંગ્રહાલયના દ્વાર કલાપ્રેમીઓ માટે ખોલવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓ, સંશોધકો અને કલાકારો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી આવનારી પેઢી આ લોકકલાનો અભ્યાસ કરી શકે. આ હોમ મ્યુઝિયમ માત્ર સંગ્રહસ્થાન નથી, પરંતુ એક જીવંત ચળવળ છે. તે વડોદરાના સાંસ્કૃતિક નકશા પર એક નવું સીમાચિહ્ન સાબિત થશે અને લુપ્ત થતી પરંપરાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય કરશે.
રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 8 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ગુજરાત વન વિભાગમાં મહત્વપૂર્ણ બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ કુલ 9 ભારતીય વન સેવા (IFS) અધિકારીઓને નવી નિમણૂક, પ્રમોશન તથા વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ડૉ. સંદીપ કુમારની વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર તરીકે નિમણૂકજૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એસ. મણિશ્વરા રાજાને બદલી કરીને ગાંધીનગર ખાતે PMU-PERGના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા છે. કચ્છ સર્કલ, ભુજના ચીફ કન્ઝર્વેટર ડૉ. સંદીપ કુમારને વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ડૉ. પ્રબુદ્ધ એચ.આર.ની ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સના દરજ્જે નિમણૂકભારત સરકારના વૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંસ્થાના કન્ઝર્વેટર ડૉ. પ્રબુદ્ધ એચ.આર.ને પ્રોફોર્મા પ્રમોશન આપી ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સના દરજ્જે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા સર્કલના કન્ઝર્વેટર ડૉ. અંશુમન શર્માને પ્રમોશન સાથે કેવડિયા (વન્યજીવ સર્કલ)ના ચીફ કન્ઝર્વેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ GSFDCL, વડોદરાના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સંભાળતા રહેશે. રાજ્ય સરકારમાં પરત ફરેલા ડૉ. ધીરજ મિત્તલને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોશન આપી કચ્છ સર્કલ, ભુજમાં નિમણૂક કરવામાં આવી છે. PMU-PERG ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. મોહન રામને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોટ કરીને જૂનાગઢ સર્કલમાં નિયુક્ત કરાયા છે. પ્રશાંત તોમરને સાસણના સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટનો વધારાનો ચાર્જ સોંપાયોલુણાવાડા મહીસાગર ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર નિશા રાજને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોશન આપી વડોદરા વર્કિંગ પ્લાનની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ GSFDCLના જ્વોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ પણ યથાવત્ રાખશે. ગોધરા ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ડૉ. પ્રિયંકા ગહેલોતને મહીસાગર ડિવિઝનનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગીર (વેસ્ટ) ડિવિઝન, જૂનાગઢના ડેપ્યુટી કન્ઝર્વેટર પ્રશાંત તોમરને સાસણના સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, વન વિભાગમાં થયેલી આ બદલી-બઢતીથી વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને પર્યાવરણ સંવર્ધનમાં નવી દિશા અને કાર્યક્ષમતા વધશે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં માનવતાને શરમાવે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. દેલાડવા ગામ પાસે આવેલા રામજી મંદિરના તળાવ કિનારે કોઈ પાષાણ હૃદયની જનેતા પોતાની માત્ર એક જ દિવસની માસૂમ દીકરીને તરછોડીને નાસી છૂટી હતી. કડકડતી ઠંડી અને અસુરક્ષિત માહોલમાં લોહીના સંબંધને રઝળતો મૂકી દેનારી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. જે ઉંમરે બાળકીને પોતાની જનેતાની હુંફની જરૂર હતી, તે ઉંમરે તેને રામ ભરોસે છોડી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ અને દુઃખ જોવા મળી રહ્યું છે. રડતી બાળકીનો અવાજ સાંભળી હાર્દિક પટેલે માનવતા દાખવીઆ માસૂમ બાળકી પર કુદરતની મહેરબાની રહી કે, દેલાડવા ગામના જાગૃત ખેડૂત હાર્દિક પટેલની નજર તેના પર પડી. રડતી બાળકીનો અવાજ સાંભળી હાર્દિક પટેલે તુરંત માનવતા દાખવી ડીંડોલી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બાળકીનો કબજો લીધો હતો. હાલમાં આ નવજાત બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપી અનાથ આશ્રમમાં આશ્રય આપવામાં આવશે. 25થી વધુ CCTV ફૂટેજ અને હોસ્પિટલોના રેકોર્ડની ચકાસણી શરૂડીંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ નિષ્ઠુર જનેતાની શોધખોળ તેજ કરી છે. ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા ન હોવા છતાં, પોલીસે ગામના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટના 25થી વધુ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ઉપરાંત, છેલ્લા 48 કલાકમાં આસપાસની તમામ હોસ્પિટલોમાં થયેલી ડિલિવરીના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે કયા નિર્દયી પરિવારે આ કાળજાના ટુકડાને રસ્તા પર રઝળતો મૂકી દીધો છે. પોલીસે માતાની શોધખોળ હાથ ધરીરાત્રિના અંધકારનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સો આ બાળકીને તળાવની પાળ પર મૂકી ગયા હતા, પરંતુ પોલીસ હવે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનેગારો સુધી પહોંચવા મથામણ કરી રહી છે. એક તરફ જ્યાં દીકરીને વહાલનો દરિયો માનવામાં આવે છે, ત્યાં બીજી તરફ પોતાની જ બાળકીને તરછોડનારી જનેતાની આ હરકત સમાજ સામે મોટા સવાલો ઊભા કરે છે. ડીંડોલી પોલીસની ટીમો અત્યારે કડીઓ મેળવી રહી છે, જેથી તે માસૂમ બાળકીને ન્યાય મળી શકે.
નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિર પાસેની શાકભાજી માર્કેટ ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બની છે. રસ્તા પર ભરાતી આ બજારને કારણે સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે. આ ગંભીરતાને ધ્યાને લઈ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ સ્થળ મુલાકાત લીધી હતી અને બંધ પડેલા માર્કેટ શેડને ફરી શરૂ કરવાના આદેશ આપ્યા હતા. આ ટ્રાફિક જામના કારણે રામનગર, સૂર્યનગર અને આંબેડકર જેવા રહેણાંક વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને અવરોધ ઊભો થાય છે. રસ્તા પર બજાર ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ તત્કાલીન વિજલપોર નગરપાલિકા દ્વારા વિઠ્ઠલ મંદિરની પાછળ પતરાના શેડવાળી એક માર્કેટ બનાવવામાં આવી હતી. જોકે, હાલ તે માર્કેટ બંધ હાલતમાં છે અને તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. આ બંધ પડેલી માર્કેટમાં સ્થાનિકોએ હરાજી દ્વારા ઓટલા ખરીદ્યા હતા. પરંતુ, યોગ્ય વ્યવસ્થાના અભાવે વેપારીઓ રસ્તા પર બેસવા મજબૂર બન્યા છે. જેના કારણે લોકો દ્વારા રોકવામાં આવેલી મૂડી પણ નિરર્થક સાબિત થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ અધિકારીઓ સાથે માર્કેટ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જો પાછળ આવેલી માર્કેટને ફરીથી કાર્યરત કરવામાં આવે, તો રસ્તા પરનું દબાણ ઘટશે અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. કમિશનરે સ્થળ પર જ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે બંધ પડેલા પતરાના શેડનું સમારકામ કરી તેને વહેલી તકે વેપારીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે. આ પગલાંથી વિજલપોરના મુખ્ય માર્ગો ટ્રાફિક મુક્ત બની શકશે.
ગુજરાતમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. લાંબા સમયથી તારીખોની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. GPSC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રિલીમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેકનિકલ તેમજ શિક્ષણ અને વિશેષ સેવાઓના પદોનો સમાવેશ થાય છે. તારીખો જાહેર થતાં જ પરીક્ષાની તૈયારીમાં લાગેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પદો માટે થશે પ્રિલીમ પરીક્ષાઆયોગ દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ વહીવટી અને સચિવાલય સેવાઓમાં રહસ્ય સચિવ (ક્લાસ-2), મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવા પદો માટે પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત, ટેકનિકલ અને વિશેષ સેવાઓ હેઠળ MIS મેનેજર (ક્લાસ-1 અને 2), પશુચિકિત્સા અધિકારી (ક્લાસ-2), મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવા મહત્વના પદોનો સમાવેશ થાય છે. શિક્ષણ અને અન્ય સેવાઓમાં ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક તેમજ મદદનીશ ઉદ્યોગ કમિશનર માટે પણ પ્રાથમિક કસોટી યોજાશે. આ સિવાય ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવામાં વહીવટી અધિકારી (ક્લાસ-2) માટેની પરીક્ષાઓ પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવશે. ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતેGPSCના ચેરમેન દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવાયું છે કે, વિવિધ વિભાગો સાથે પરામર્શની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ષ 2026નું સંપૂર્ણ ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.આયોગે ઉમેદવારોને સલાહ આપી છે કે, પરીક્ષા કેન્દ્ર, સમય અને અન્ય વિગતવાર સૂચનાઓ માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત રીતે અપડેટ્સ તપાસતા રહે. તારીખોની જાહેરાત બાદ હવે ઉમેદવારો તૈયારીને અંતિમ તબક્કે લઈ જઈ રહ્યા છે.
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજે BBAના વિદ્યાર્થીઓને ખોટો વિષય ભણાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા Baisc It Toolsના બદલે Writing and Presentation Skillsનો વિષય વિદ્યાર્થીઓને ભણાવી દેવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું શરૂ કરતા કોલેજની બેદરકારી સામે આવી હતી. આ બેદરકારી સામે આવતા નવો વિષય ભણાવવાનું શરુ કરી દીધુ. જોકે, પરીક્ષા નજીક આવતા જ નવો વિષય શરૂ કરવામાં આવતા NSUI અને વિદ્યાર્થીઓએ કોલેજ પર હોબાળો કર્યો હતો. રજૂઆત કરે તે પહેલા જ પ્રિન્સિપાલ રવાના થઈ ગયા હતા. જે બાદ NSUI અને વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. Writing and Presentation Skillsનો વિષય આખા સત્ર દરમિયાન ભણાવ્યોશહેરની શ્રી નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે આવતા ભારે હોબાળો શરૂ થઈ ગયો છે. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. કોલેજના BBA કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમ કરતા અન્ય વિષયનો અભ્યાસ કરાવી દેવામાં આવ્યો છે. Basic It Tools વિષયના બદલે Writing and Presentation Skillsનો વિષય આખા સત્ર દરમિયાન ભણાવવામાં આવ્યો હતો. આખું સત્ર વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીએ નક્કી કરેલા અભ્યાસ કરતા અન્ય વિષય ભણ્યા હતા. વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા ત્યારે ખોટા વિષયની જાણ થઈગુજરાત યુનિવર્સિટી દ્વારા થોડા દિવસ પહેલા પરીક્ષાના ફોર્મ ભરાવાની જાહેરાત કરતા કોલેજની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓએ સત્તાધીશોને જાણ કરતા અજાણ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કોલેજના સત્તાધીશોએ ગુજરાત યુનિવર્સિટીમાં પત્ર લખ્યો હતો. જે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજે જે વિષય ભણાવ્યો તે ખોટો હોવાનો ખુલાસો કરતો પત્ર કોલેજને લખવામાં આવ્યો હતો. જે બાદ કોલેજના સત્તાધીશોને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. કોલેજના સતાધીશોએ હવે પોતાની બેદરકારી છુપાવવા માટે નવો દાવ ખેલ્યો ફક્ત એટલું જ નહીં જ્યારે કોલેજે સેમેસ્ટર-1ની પ્રિલિમરી પરીક્ષા લીધી ત્યારે પણ યુનિવર્સિટીએ નક્કી કરેલા વિષયના બદલે કોલેજે પોતે જ જે વિષય ભણાવ્યો હતો તે વિષયની પરીક્ષા લઈ લીધી હતી. કોલેજના સતાધીશોએ હવે પોતાની બેદરકારી છુપાવવા માટે નવો દાવ ખેલ્યો છે. જે બાદ વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીએ નક્કી કરેલો વિષય વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર થવાની ભીતિ સેવાઈ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગેલા હતા પરંતુ, જ્યારે યુનિવર્સિટીના ટાઈમટેબલમાં Basic IT Tools વિષય દર્શાવાયો ત્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે આખા સેમેસ્ટર દરમિયાન તેમને ખોટો વિષય ભણાવવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા વગર જ રવાના થઈ જતા આગામી 22 તારીખથી BBA સેમેસ્ટર-1ની પરીક્ષાની તારીખ સંભવિત હોવાનું મનાઈ રહ્યું છે. જેથી, હવે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કારણ કે, આખા સત્રની તૈયારી હવે ગણતરીના દિવસોમાં વિદ્યાર્થીઓ કઈ રીતે કરી શકશે, તેને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. જેથી એની વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરવા માટે ગેટ પાસે બોલાવવામાં આવ્યા હતા પરંતુ, કોલેજના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા વગર જ રવાના થઈ જતા એને સિવાયના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. આગામી પરીક્ષામાં 150 જેટલા વિદ્યાર્થીઓ શું લખશે?NSUIના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા માટે જતા પોલીસે તેમને અટકાવ્યા હતા. જે દરમિયાન NSUIના કાર્યકર્તાઓની અને વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જો હવે આગામી પરીક્ષામાં 150 જેટલા વિદ્યાર્થીઓ શું લખશે તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરશે?કેમ્પસ પ્રેસિડેન્ટ અજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોલેજના પ્રિન્સિપલ અને કોઓર્ડીનેટરની ગંભીર બેદરકારી સામે આવી છે. Writing and Presentation Skillsનો સબ્જેક્ટ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યો છે જેની ઇન્ટર્નલ પરીક્ષા પણ લેવામાં આવી હતી. યુનિવર્સિટીએ જ્યારે પરીક્ષા ફોર્મ ભરવાનું શરૂ કર્યું ત્યારે સામે આવ્યું કે આ આ સબ્જેક્ટ તો છે જ નહીં. તેના બદલે Basic IT Tools સબ્જેક્ટ હોવાનો સામે આવ્યો હતો. આ સમગ્ર બાબતની જ્યારે જાણ વિદ્યાર્થીઓએ સત્તાધીશોને કરી ત્યારે કોલેજ દ્વારા કોમ્પ્યુટરમાં લેક્ચર શરૂ કરી દેવામાં આવ્યા હતા. કોઈ પ્રોફેસર નથી તો હવે એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરશે તે પણ એક મોટો સવાલ છે. 150 જેટલા વિદ્યાર્થીઓ છે તે પાસ નહીં થાય તો તેની જવાબદારી કોણ લેશે? જેથી અમારી માંગ છે કે જે જવાબદાર છે તેમના રાજીનામા લઈ લેવામાં આવે. અમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે તે જ તમારે ભણાવવાનો છેકોલેજના પ્રિન્સિપાલે ભૂલ છુપાવતા જવાબ આપી જણાવ્યું હતું કે, NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, અમે ખોટો વિષય ભણાવી દીધો છે. જોકે, પરીક્ષા ફોર્મ જાહેર કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, અમે વિષય નક્કી કર્યો છે તેના બદલે યુનિવર્સિટીએ Basic IT Tools સબ્જેક્ટ આપેલો છે, જેથી અમે પત્ર લખ્યો હતો. જેથી અમને યુનિવર્સિટીએ જવાબ આપ્યો હતો કે, અમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે તે જ તમારે ભણાવવાનો છે. વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે. અમારી કોમ્પ્યુટર લેબ હવે કાર્યરત થઈ છે જેથી અમે 15 દિવસથી પ્રેક્ટીકલ નોલેજ આપી રહ્યા છીએ.
ભારત સરકાર દ્વારા શહેરી શેરી ફેરિયાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે અમલમાં મૂકાયેલી 'PM સ્વનિધિ' યોજનામાં સુરત મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ કામગીરીની કદરરૂપે સુરતને રાજ્ય કક્ષાએ મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં 'સેકન્ડ બેસ્ટ પર્ફોમર સિટી' તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાને PM SVANidhi PRAISED AWARD - 2023-24 એનાયત કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આયોજિત 'સ્વનિધિ સમારોહ - 2026' માં એવોર્ડ એનાયતગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા 'શહેરી વિકાસ વર્ષ 2025'ના ઉપલક્ષમાં ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે 'સ્વનિધિ સમારોહ - 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં થયેલી શ્રેષ્ઠ કામગીરીને કારણે આ સફળતા મળી છે. સુરતના 1.32 લાખથી વધુ ફેરિયાઓને 201 કરોડનું ધિરાણ મળ્યુંપીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ફેરીયાઓને કોઈપણ જામીનગીરી વગર કાર્યકારી મૂડી પૂરી પાડી છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 1,32,370 લાભાર્થીઓને વિવિધ તબક્કામાં કુલ 201.81 કરોડ રૂપિયાનું બેંક મારફતે લોન વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાના 91,164 લાભાર્થીઓ, બીજા તબક્કાના 32,359 લાભાર્થીઓ અને ત્રીજા તબક્કાના 8,847 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. 6.32 કરોડ રૂપિયાની વ્યાજ સબસિડી જમા કરવામાં આવીઆ યોજના હેઠળ ફેરિયાઓને મળતી રાહતની વાત કરીએ તો, લોન મેળવનાર લાભાર્થીઓના બેંક ખાતામાં સરકાર દ્વારા અત્યાર સુધીમાં 6.32 કરોડ રૂપિયાની વ્યાજ સબસિડી જમા કરવામાં આવી છે. આ ઉપરાંત, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે શહેરી ફેરિયાઓને 4.82 કરોડ રૂપિયાનું ડિજિટલ ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની આ કામગીરીથી હજારો નાના વ્યવસાયકારો આત્મનિર્ભર બન્યા છે. ત્રીજા તબક્કે 50,000 રૂપિયા સુધીની લોન સહાયની જોગવાઈપીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કે 10,000 રૂપિયા, તેની નિયમિત ભરપાઈ બાદ બીજા તબક્કે 20,000 રૂપિયા અને ત્યારબાદ ત્રીજા તબક્કે 50,000 રૂપિયા સુધીની લોન સહાયની જોગવાઈ છે. સુરત મહાનગરપાલિકાએ ત્રણેય તબક્કામાં પ્રશંસનીય કામગીરી કરી હોવાથી રાજ્ય સ્તરે આ સન્માન પ્રાપ્ત થયું છે. આગામી સમયમાં વધુને વધુ ફેરિયાઓ આ યોજનાનો લાભ લે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવશે.
પોરબંદરની મહારાષિ દયાનંદ સાયન્સ કોલેજનું સીલ નગરપાલિકા દ્વારા ખોલવામાં આવ્યું છે. વહીવટી કારણોસર છેલ્લા કેટલાક સમયથી બંધ રહેલી આ કોલેજમાં હવે રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ છે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વી. ટી. થાનકીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગત 9 ડિસેમ્બર, 2025ના રોજ કોલેજને સીલ કરવામાં આવી હતી. કોલેજ ટ્રસ્ટીઓની રજૂઆત અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગ બાદ આજે સવારે 11:30 કલાકે સીલ ખોલવામાં આવ્યું છે. પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ, કોલેજના બિલ્ડિંગમાં જરૂરી રિપેરિંગ કામ માટે હાલ ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો મુકાયો છે. રિપેરિંગ માટેના કોન્ટ્રાક્ટ પહેલેથી જ અપાયા હોવાથી, ગ્રાઉન્ડ ફ્લોર પર સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. થાનકીએ જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદર નગરપાલિકા અને કોલેજના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ પ્રયાસોને કારણે શૈક્ષણિક સંસ્થામાં ફરીથી ગતિવિધિઓ શરૂ થઈ શકશે.
ભરૂચ, જે ખારી સિંગ માટે વિશ્વભરમાં જાણીતું છે, તે હવે તેની અવનવી ચીકી માટે પણ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ભરૂચમાં તૈયાર થતી આ ચીકી માત્ર જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે. ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ, ડુમવાડ નજીક આવેલું સંગમ સિંગ સેન્ટર પેઢી દર પેઢીથી આ પરંપરાગત વ્યવસાય જાળવી રહ્યું છે. અહીં રોજ સિંગદાણાની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, તલના લાડુ, બદામ-કાજુ-પિસ્તાની ચીકી, મલાઈ ચીકી અને માવા ચીકી સહિત અનેક પ્રકારની ચીકીનું ઉત્પાદન થાય છે. કારીગરો અને પરીવારના સભ્યો સવારથી સાંજ સુધી શુદ્ધ ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને સ્વચ્છતા સાથે ચીકી તૈયાર કરે છે. તૈયાર થયેલી ચીકી બોક્સ પેકિંગમાં ભરૂચ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ચીકીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. સ્થાનિક વેપારી મોહમ્મદ સિરાઝ શેખના જણાવ્યા મુજબ, શિયાળામાં ચીકી આરોગવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. મહોમદ સીરાઝ શેખે વધુમાં જણાવ્યું કે,તેમના બાપ-દાદાના સમયથી ચાલતો આ પરંપરાગત વ્યવસાય આજે પણ એ જ સ્વાદ અને ગુણવત્તા સાથે આગળ વધી રહ્યો છે. શિયાળા અને ઉતરાયણ પર્વ નિમિત્તે રાજ્યભર ના લોકો અહીં ખાસ ચીકી ખરીદવા આવે છે અને તેમના સ્વજનો માટે દેશ-વિદેશમાં પણ મોકલે છે. આ વર્ષે ચીકીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે. એવી માન્યતા છે કે ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે આટલા મોટા પ્રમાણમાં અવનવી ચીકીનું ઉત્પાદન થાય છે. ખારી સિંગની જેમ હવે ભરૂચની ચીકી પણ વિશ્વભરમાં શહેરનું નામ રોશન કરી રહી છે.
વડોદરા શહેરની ઓળખ સમાન સયાજીબાગના આજે 147માં સ્થાપના દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસને યાદગાર બનાવવા માટે અહીંયા આવેલ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા નવા મહેમાન સફેદ વાઘને સહેલાણીઓ માટે આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સાથે વિવિધ લોકહિતના કાર્યોને પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ લોકહિતના કાર્યોનું લોકાર્પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી બાગમાં ઔષધીવન, એલઇડી ઇલ્યુનિશન, રીવર વ્યુ વોક વે, મીની લાઇબ્રેરી, સ્પોટ ફ્લાવર શો, સ્પેરો કન્ઝર્વેશન નેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના મેયર પિંકીબેન સોની, સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે પાલિકાના પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1879માં સર સયાજીરાવ ગાયકવાડે બાગનું લોકાર્પણ કર્યું હતુંઃ મેયર આ કાર્યક્રમ અંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ 1879માં આ બાગનું લોકાર્પણ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આ બાગનો 147મો જન્મદિવસ છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડી શહેરના સયાજીબાગમાં આવતા સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સાથે વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ઢસા ગામે આયુષ્ય મેળો યોજાયો:આયુર્વેદ-હોમિયોપેથી સારવાર કેમ્પમાં લોકોએ લાભ લીધો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ્ય મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળા અંતર્ગત આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ, પાલજીભાઈ પરમાર, ગામના સરપંચ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયુષ્ય મેળાના ભાગરૂપે આયુષ્ય પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. જેમાં આયુર્વેદ અને પરંપરાગત સારવાર પદ્ધતિઓ વિશેની વિસ્તૃત માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ આ પ્રદર્શન નિહાળી આરોગ્ય જાગૃતિના આ પ્રયાસોને બિરદાવ્યા હતા. ઢસા કેન્દ્રવર્તી શાળા ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગામના અનેક નાગરિકોએ હાજરી આપી નિઃશુલ્ક તપાસ અને સારવારનો લાભ મેળવ્યો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ આયુષ્ય મેળાનો મુખ્ય હેતુ આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, જે સાર્થક થયો છે.
ભાવનગરના આંગણે રાષ્ટ્રભક્તિનો મહોત્સવઅખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આગામી 11 જાન્યુઆરીના રોજ ભાવનગરમાં 'વંદે માતરમ' મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં 25 હજારથી વધુ નગરજનોની વિરાટ મહાયાત્રા, ઐતિહાસિક શંખનાદ અને સાંસ્કૃતિક કરતબો સાથે આખું શહેર કેસરીયા રંગે રંગાશે. આ મહોત્સવમાં રાષ્ટ્રભક્તિના ગીતો, સાહિત્યનો સંગમ અને આકાશમાં 450થી વધુ ડ્રોન દ્વારા રચાનારો ભવ્ય 'ડ્રોન શો' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ભાવનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, ભાવનગર કેસરીયા-પીળા રંગે રંગાઈ જશે અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર દ્વારા આગામી 11 જાન્યુઆરી, 2026 ના રોજ એક અભૂતપૂર્વ દેશભક્તિ મહોત્સવ 'વંદે માતરમ - દેશ કી ધડકન' નું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં આખું ભાવનગર કેસરીયા-પીળા રંગે રંગાઈને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળા લેશે, રવિવારે બપોરે 1:30 કલાકે કાળીયાબીડ પાણીની ટાંકી થી આ મહાયાત્રાનું પ્રસ્થાન થશે, અંદાજે 25,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભાવનગરના નાગરિકો આ રેલીમાં જોડાશે, આ યાત્રા અક્ષરવાડી, ગુલીસ્તા અને આતાભાઇ સર્કલ થઈને સાંજે 4:15 કલાકે જવાહર મેદાન ખાતે પહોંચશે. 400 થી વધુ બાળકો એકસાથે શંખનાદ કરીને સમગ્ર વાતાવરણને દિવ્ય અને ગુંજતું કરી દેશે, ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસને જીવંત કરવા 400 બાલિકાઓ 'ભારત માતા' અને 300 વિદ્યાર્થીઓ 'સરદાર પટેલ'ના વેશમાં સજ્જ થઈ જોડાશે, યાત્રામાં ટીમલી નૃત્ય, સીદી ધમાલ, રાસ ગરબા અને નાસિક ઢોલના નાદ સાથે બ્લેક કમાન્ડોના કરતબો અને સ્કેટિંગના દ્રશ્યો આકર્ષણ જમાવશે. પીળા વસ્ત્રો'નો વિશેષ ડ્રેસ કોડ કાર્યક્રમમાં પવિત્રતા અને જ્ઞાનના પ્રતીક સમાન 'પીળા વસ્ત્રો' (પીતાંબર) નો વિશેષ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે, સાંજે જવાહર મેદાન ખાતે આયોજિત સભામાં અઢી વર્ષના ભૂલકાઓ દ્વારા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું ગાન કરવામાં આવશે, લોકપ્રિય હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવે 'વંદે માતરમ'ના ગૌરવવંતા ઇતિહાસની ગાથા સંભળાવશે, જ્યારે લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના રાષ્ટ્રભક્તિના ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ભાવનગરમાં પ્રથમવાર ભવ્ય 'ડ્રોન શો' આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રિના આકાશમાં જોવા મળશે, 450 થી વધુ ડ્રોન દ્વારા આકાશમાં 'વંદે માતરમ' અને 'સરદાર પટેલ'ની વિરાટ આકૃતિઓ કંડારવામાં આવશે, ભાવનગરના ઈતિહાસમાં આ કક્ષાનો ડ્રોન શો પ્રથમવાર યોજાઈ રહ્યો છે, સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભાવનગરના તમામ દેશપ્રેમી જનતાને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને વંદે માતરમ ના નાદ સાથે રાષ્ટ્રભાવનામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આગામી 11/01/2026 ના રોજ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક પર્વમાં જૂનાગઢના શહેરીજનો સહભાગી થઈ શકે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિ:શુલ્ક સોમનાથ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનું વિશેષ મહત્વ એ છે કે, 1026 માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને આજે 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલા મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ બેવડા સંયોગના અવસરે સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને જીવંત કરવા માટે આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો સૌથી મોટો ડ્રોન-શો, આકાશમાં 3,000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો શો યોજાશે. મંદિરની રક્ષા કાજે બલિદાન આપનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પવા 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા 'શંખ સર્કલ' થી 'હમીરજી ગોહિલ સર્કલ' સુધી નીકળશે. 2,500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર, 72 કલાકનો અખંડ ઓમકાર જાપ અને 1,000 કલાકારો દ્વારા કરવામાં આવનાર શંખનાદ વાતાવરણને શિવમય બનાવશે. ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. આ નિ:શુલ્ક યાત્રાનો લાભ લેવા માટે જૂનાગઢના શહેરીજનોએ કાર્યક્રમના 2 દિવસ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે શ્રી ગીરાબેન જોષી - 9925196599, શ્રી ભુપેન્દ્ર એલ. દવે - 8511199250 નો સંપર્ક કરવા જનસંપર્ક અધિકારી, મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને સોમનાથના શૌર્ય અને આસ્થાના પર્વમાં જોડાવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

25 C