SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

મોડાસાની બે વિદ્યાર્થિનીઓ ગૌરવ વધાર્યું:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી પરીક્ષામાં મોડાસાની બે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. PGDCA સેમેસ્ટર-૨માં ખાનજી અકશા જે. અને BCA સેમેસ્ટર-૬માં પટેલ જાનવીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થિનીઓનો પદવીદાન સમારોહ પાટણ ખાતેની યુનિવર્સિટીમાં યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી હતી. ડો. એન. શાહ પીજીડીસીએ અને બીસીએ કોલેજ, મોડાસા માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ જે. મોદી અને પ્રભારીમંત્રી પરેશભાઈ બી. મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, કોલેજના કાર્યકારી આચાર્ય સંજયભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે પણ બંને વિદ્યાર્થિનીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:15 pm

મોરબી મહાપાલિકા ચૂંટણી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ:511 ઉમેદવારી ફોર્મ ઉપાડાયા, માત્ર 75 ફોર્મ જ ભરાયા; ભાજપના ઉમેદવારો જાહેર ન થતા રાજકીય અવઢવ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવાર સાંજ સુધી તેના 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધીમાં કુલ 511 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જ્યારે માત્ર 75 ફોર્મ જ ભરાયા છે. શુક્રવારે દિવસ દરમિયાન વધુ 44 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે, ભાજપે તેના સત્તાવાર ઉમેદવારોના નામ શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી પણ જાહેર કર્યા ન હતા. આ દરમિયાન, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના કેટલાક અગ્રણીઓએ સંભવિત ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. ચૂંટણી વિભાગના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે 171 ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 511 ઉમેદવારી પત્રો ઉપડ્યા છે. ગુરુવાર સુધીમાં 31 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં શુક્રવારે ભરાયેલા 44 પત્રો ઉમેરાતા કુલ આંકડો 75 પર પહોંચ્યો છે. આ પૈકી વોર્ડ નંબર 1થી 4માં 23, વોર્ડ નંબર 5થી 9માં 31 અને વોર્ડ નંબર 10થી 13માં 21 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે, જે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની તક છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસેથી ચૂંટણી લડવા માટે 427 દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. ટિકિટના દાવેદારોની આ મોટી સંખ્યાને કારણે ભાજપના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અસંતોષ ફાટી નીકળવાની શક્યતા છે. નારાજ થયેલા ભાજપના કાર્યકરો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. શનિવારે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:08 pm

વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો:વોર્ડ નં. 18માં આયાતી ઉમેદવારો સામે કાર્યકરોનો બળવો

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં ભાજપ દ્વારા બે 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવાર ચેતન પરમાર અને દીપા પંચાલની પસંદગી સામે દાવેદારો અને કાર્યકરોએ પરિવારવાદનો આક્ષેપ કરી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ અસંતોષને પગલે મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. ટિકિટ જાહેર થયા બાદ વોર્ડના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક દાવેદારોએ આક્ષેપ કર્યો છે કે પક્ષ દ્વારા લાયક સ્થાનિક નેતાઓની અવગણના કરીને બહારના ઉમેદવારોને થોપી દેવામાં આવ્યા છે. આ મામલે રજૂઆત કરતા એક દાવેદાર જાહેરમાં ભાવુક થઈ ગયા હતા અને પક્ષના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવારો બદલવામાં નહીં આવે તો તેઓ તેમના સમર્થકો સાથે પક્ષમાંથી રાજીનામા આપી દેશે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ ધારાસભ્ય યોગેશ પટેલના અગાઉના નિવેદનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્યએ પોતે કહ્યું હતું કે જો બહારના ઉમેદવાર આવે તો લડજો. હવે જ્યારે ખરેખર આયાતી ઉમેદવારો આવ્યા છે, ત્યારે સ્થાનિક સંગઠન લડત આપવાના મૂડમાં છે. કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે ટિકિટ વિતરણમાં પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે પાયાના કાર્યકરો સાથે અન્યાય સમાન છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:52 pm

પૂર્વ પ્રમુખ-ચેરમેન સહિતના પતા કપાયા:રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક પર ઉમેદવાર જાહેર, લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર ચૂંટણી લડશે

રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર આજે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે. ઉપપ્રમુખને દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાતરાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે. 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા ધુરંધરો કપાઇ ગયાજિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે. જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતાની ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ કાપીરાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. ગત 2021ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનરલ બેઠકો પુરુષ 13, સ્ત્રી 14 હતી જેમાંથી જનરલ પુરુષમાંથી 5 અને સ્ત્રીઓમાંથી 4 મળી કુલ 9 બેઠક પરથી ઓબીસીને લડાવવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતુંવર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા જેમાં જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી. જયારે ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:43 pm

બોટાદ નગરપાલિકા ચૂંટણી: ભાજપે 30 જેટલા કાર્યકરોને ફોન કર્યા:ઉમેદવારી પત્ર ભરવા સૂચના, સત્તાવાર યાદી જાહેર નથી

બોટાદ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને આંતરિક હલચલ જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ કાર્યાલય દ્વારા આશરે 25 થી 30 જેટલા કાર્યકરોને ફોન કરીને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સૂચના અપાઈ છે. આ કાર્યકરોમાં હરેશભાઈ ધાંધલ, રવજીભાઈ વાટુકિયા, નિતીન સુતરીયા, નિકાબા પરમાર, દિનેશ દલસાણીયા, રાજેશ માથુકિયા, કમા મીર, ગીતાબેન ગોલાણી, હેમાનગીબેન રંગાણી અને વનરાજ રાઘવાણીનો સમાવેશ થાય છે. તેમને આગામી દિવસમાં ફોર્મ ભરવા જણાવાયું છે. બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને કુલ 44 બેઠકો છે. તેમાંથી લગભગ ૩૦ જેટલા કાર્યકરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ફોન મળ્યા બાદ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાક્રમ વચ્ચે, વર્તમાન સભ્યોમાંથી કોને ફરી તક મળશે અને કોની ટિકિટ કપાશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં, ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. હવે સૌની નજર ભાજપ દ્વારા સત્તાવાર યાદી ક્યારે જાહેર થાય છે અને કયા ઉમેદવારોને ટિકિટ મળે છે તેના પર રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:42 pm

GST એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને ₹60 લાખની છેતરપિંડી:AAPના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રકાશ દોંગા સહિત 2ની ધરપકડ, એક દિવસના રિમાન્ડ પર

જામનગર શહેરના એક બ્રાસપાર્ટ વેપારી સાથે GST એકાઉન્ટ પુનઃ કાર્યરત કરાવવાના બહાને 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલો શું છે?જામનગરમાં 'શ્રી કલ્પ એન્ટરપ્રાઈઝ' નામે બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશ તરાવિયાનું GST એકાઉન્ટ વર્ષ 2025માં વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા માટે તેમણે જગદીશ રામોલીયાનો સંપર્ક સાધ્યો હતો. જગદીશ રામોલીયાએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર પ્રભારી પ્રકાશ દોંગાની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. ટેક્સ ભરવાના નામે નાણાં પડાવ્યાGST સંબંધિત કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સની રકમ ભરવાના બહાને આરોપીઓએ ઓક્ટોબર 2025માં વેપારી પાસેથી કુલ 60 લાખ મેળવ્યા હતા. વેપારીએ આ રકમ GST એકાઉન્ટમાં જમા કરાવવા અને પ્રોસેસિંગ ફી પેટે ચૂકવી હતી. જોકે, આરોપીઓએ આ નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. પોલીસ ફરિયાદ અને તપાસલાંબો સમય વીતવા છતાં GST એકાઉન્ટ ચાલુ ન થતા અને નાણાં પરત ન મળતા વેપારીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ અંગે પંચકોશી B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે કોર્ટ પાસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિની સંડોવણીને પગલે જામનગરના વેપારી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આ રકમ ક્યાં વપરાઈ અને અન્ય કોઈ વેપારીઓ આ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:32 pm

સાવરકુંડલા ભાજપમાં ભડકો: બે નેતાઓએ રાજીનામા આપી કોંગ્રેસમાં જોડાયા:ટિકિટ ન મળતા ધર્મેન્દ્ર મહેતા,અનિરુદ્ધસિંહ વાજાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. બે અગ્રણી નેતાઓ, ધર્મેન્દ્ર મહેતા અને અનિરુદ્ધસિંહ વાજાએ પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના વર્તમાન સભ્ય ધર્મેન્દ્ર મહેતાએ ભાજપના સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તેવી જ રીતે, સાવરકુંડલા શહેર ભાજપના સક્રિય કાર્યકર અને શક્તિકેન્દ્રના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ વાજાએ પણ પક્ષના હોદ્દાઓ અને સક્રિય સભ્યપદ છોડી દીધું છે. ભાજપ છોડ્યા બાદ આ બંને નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જ્યારે અનિરુદ્ધસિંહ વાજાએ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષ વતી ઉમેદવારી નોંધાવી છે. આ ઘટના ધારાસભ્ય મહેશ કસવાલાના હોમટાઉન સાવરકુંડલામાં બની હોવાથી રાજકીય રીતે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે અને ભાજપ માટે પડકારો વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:29 pm

સાબરમતીના ઉમેદવારનું નામ વોર્ડની યાદીમાં ઉમેરવાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી:ઉમેદવારનું નામ SIR બાદ વિધાનસભા મતદાર યાદીમાં નહોતું, ઓથોરિટી સમક્ષ અરજી બાદ ઉમેરવામાં આવ્યું હતું

અમદાવાદથી વર્ષા કટારા દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન અને અન્ય સંસ્થાઓને પક્ષકાર બનાવીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે સાબરમતી વિસ્તારના વોર્ડ નંબર 4 ની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા વિનંતી કરી હતી. યાદીમાં નામ ઉમેરવાની અરજી 1 એપ્રિલ, 2026ના મંજૂરઅરજદારનું નામ SIR પ્રક્રિયા બાદ વિધાનસભા મતવિસ્તારની યાદીમાં ન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક યાદીમાં પણ તેમનું નામ આવ્યું નહોતું. તેમણે 23 માર્ચ, 2026 ના રોજ નામ ઉમેરવા માટે ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. વિધાનસભા મતવિસ્તારની યાદીમાં નામ ઉમેરવાની તેમની અરજી 1 એપ્રિલ, 2026 ના રોજ મંજૂર કરવામાં આવી હતી. અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા હકદારકોર્ટે અવલોકન કર્યું હતુ કે રાજ્ય ચૂંટણી પંચનું કાર્ય વિધાનસભાની મતદાર યાદીમાંથી AMC ની મતદાર યાદી તૈયાર કરવાનું છે અને તેને સ્વતંત્ર રીતે નામ ઉમેરવા કે ઘટાડવાનો અધિકાર નથી. કોર્ટે જણાવ્યું હતું કે વિધાનસભાની યાદીમાં નામ સામેલ થતા જ અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હકદાર બને છે. વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશઅરજદારે 10 દિવસની નિયત સમય મર્યાદા પહેલા અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા અરજી કરી હોવાથી, તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું જરૂરી છે. હાઈકોર્ટે આ અરજી મંજૂર કરી છે અને અરજદારનું નામ વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:25 pm

ભાજપના ગઢમાં ગાબડું, બેચરાજીના 200 પાટીદાર યુવાનો કોંગ્રેસમાં જોડાયા:પાટીદાર અગ્રણીએ કહ્યું, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં મરતોલી અને અજબપુરા ગામના અંદાજે 200 જેટલા પાટીદાર યુવાનો અને આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં આ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. 'ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી 'કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર અગ્રણી મહેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરવામાં આવી રહી છે. સમાજની વેલ્યુ ન જળવાતી હોવાને કારણે મરતોલી અને અજબપુરા ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેના પરિણામે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવા યુવાનોનો સંકલ્પનવા જોડાયેલા યુવાનોએ સંકલ્પ કર્યો છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મરતોલી તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવશે. મહેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ આજીવન કોંગ્રેસના સમર્થક રહેશે અને દેશને એકસૂત્રે જોડવા માટે કાર્ય કરશે. કાર્યકરોમાં એવો વિશ્વાસ જોવા મળ્યો હતો કે જનહિત માટે કોંગ્રેસ શાસન અનિવાર્ય છે. પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાચૂંટણી પહેલા જ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડતા અને મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જ્યારે કોંગ્રેસમાં નવા જોમ અને ઉત્સાહનો સંચાર થયો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:25 pm

અંતિમ ક્ષણનો સસ્પેન્સ: વેરાવળ પાટણ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ચક્રવ્યૂહ:44 બેઠકો સામે માત્ર 7 ઉમેદવારી ફોર્મ – ભાજપ-કોંગ્રેસ હજુ મૌન, શહેરમાં ચર્ચાઓ ગરમ

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય હલચલ ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ઉમેદવારી પ્રક્રિયામાં જોવા મળતી ધીમી ગતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ચૂંટણીના અંતિમ દિવસના એક દિવસ પહેલાં, તા. 10 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી માત્ર 7 ઉમેદવારી પત્રો જ રજૂ થવાને કારણે રાજકીય પરિસ્થિતિમાં અનિશ્ચિતતા અને ઉત્સુકતા બંનેનો માહોલ સર્જાયો છે. માત્ર આમ આદમી પાર્ટી સક્રિય, અન્ય પક્ષો હજુ રાહમાં હાલ સુધી નોંધાયેલા તમામ 7 ઉમેદવારી પત્રો આમ આદમી પાર્ટી દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે પ્રાથમિક તબક્કામાં માત્ર એક જ પક્ષ મેદાનમાં ઉતર્યો છે. વોર્ડ પ્રમાણે જોતા – વોર્ડ 1 માં ચેતનભાઈ વૈષ્ણવ, વોર્ડ 2 માં રંજનબેન પંડિત અને ઇમરાનભાઈ કોટવાલ, વોર્ડ 3 માં મનસુખભાઈ પરમાર, વોર્ડ 6 માં ફુલીબેન હાલા, વોર્ડ 9 માં રાજુભાઈ બારીયા અને લક્ષ્મીબેન ફોફંડી, વોર્ડ 10 માં ગોપાલભાઈ વાજા – ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. હજુ અનેક વોર્ડ ખાલી છે, જે દર્શાવે છે કે મુખ્ય રાજકીય રમતમાં અસલી ચાળો હવે અંતિમ દિવસે જોવા મળશે. ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે ઘમાસાણ રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારી પ્રક્રિયામાં પ્રવેશ્યા નથી. બંને પક્ષોમાં ટિકિટ વિતરણને લઈને ભારે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસે આ વખતે “નો રિપીટ થિયરી” અમલમાં મૂકતા જૂના ચહેરાઓને બદલે નવા ઉમેદવારોને તક આપવાની તૈયારી દર્શાવી છે. જેના કારણે પક્ષમાં દાવેદારોની સંખ્યા વધી અને અંતિમ પસંદગીમાં વિલંબ થયો છે. બીજી તરફ ભાજપમાં કોણે ફરી ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે તે મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આધારભૂત સૂત્રો મુજબ કેટલાક દાવેદારોને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા જણાવાયું છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અંતિમ દિવસે રાજકીય ઘસારો નિશ્ચિત આવતીકાલે તા. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો મોટો ઘસારો જોવા મળવાની પૂરી શક્યતા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અંતિમ ક્ષણ સુધી રાહ જોવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે, જેથી આંતરિક અસંતોષ ઓછો રહે અને સમીકરણો સંતુલિત રહે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:23 pm

અમરેલી RTOએ 200 વાહનોને રેડિયમ પટ્ટા લગાવ્યા:માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ અકસ્માત નિવારણ અભિયાન હાથ ધરાયું

અમરેલી RTO દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 200થી વધુ ટ્રેક્ટર અને અન્ય વાહનોને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા. આ કામગીરી જિલ્લાભરની APMCમાં રેડિયમ પટ્ટા લગાવવાના કેમ્પના આયોજનનો એક ભાગ છે. અમરેલી APMC ખાતે યોજાયેલા આ કેમ્પમાં ટ્રેક્ટર, ટ્રેલર અને છકડા સહિત 200થી વધુ વાહનોને વિનામૂલ્યે પીળા અને લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. આ પટ્ટા વાહનોની બાજુઓ પર લગાવાયા હતા. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે. ગ્રામીણ વિસ્તારોના નાના રસ્તાઓ પર રાત્રિના સમયે લાઇટનો અભાવ હોય છે. આવા સમયે ટ્રેલર, છકડા કે સનેડા જેવા વાહનોમાં પાછળની લાઇટ ન હોવાથી પાછળથી આવતા ઝડપી વાહનોને તે દેખાતા નથી, જેના કારણે અકસ્માતો સર્જાય છે. સમગ્ર અમરેલી જિલ્લામાં RTO દ્વારા માર્ગ સુરક્ષા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેડિયમ પટ્ટા લગાવવાની આ કામગીરી પણ સંભવિત અકસ્માતોને નિવારવાના આ જ પ્રયાસનો એક ભાગ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:21 pm

SOGએ ટ્રકના ચેસીસ નંબર બદલતી ટોળકી ઝડપી:હોટલના પાર્કિંગમાં શંકાસ્પદ ટ્રક પર 2 RTOના રજીસ્ટ્રેશન નંબર, ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ઝડપાયા

પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ટ્રકના ચેસીસ નંબર બદલીને ગેરકાયદેસર રીતે વાહનોનું વેચાણ કરતી ટોળકીને ઝડપી પાડી છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સ્ટાર હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં પાર્ક કરેલી એક ટાટા ટ્રક શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ટ્રક પર બે અલગ-અલગ આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર લખેલા હતા. પ્રાથમિક તપાસમાં આ ટ્રક યામીન અહમદ ભીમલાની હોવાનું સામે આવ્યું હતું. મોડસ ઓપરેન્ડીપોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મુખ્ય આરોપી મોહમ્મદ સાલેહ ફારુક બક્કરે અગાઉ એક ટ્રક સ્ક્રેપમાં ખરીદી હતી. તેણે સરફરાજ નૂરુભાઈ લુહાર નામના શખ્સની મદદથી તે સ્ક્રેપ ટ્રકનો ચેસીસ નંબર બીજી ટ્રક પર પંચિંગ ડાઈની મદદથી પંચિંગ કરાવ્યો હતો. આ ફેરફાર કર્યા બાદ, ટ્રક પર અન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવીને આર.ટી.ઓ.માં યામીન અહમદ ભીમલાના નામે ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે: મોહમ્મદ સાલેહ ફારુક બક્કર સરફરાજ નૂરુભાઈ લુહાર પોલીસે ઘટનાસ્થળેથી 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:13 pm

એટ્રોસીટી અને દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે ઝડપાયા:સાબરકાંઠા LCB એ માળીયામીયાણાથી પકડ્યા, હિંમતનગર પોલીસને સોંપ્યા

સાબરકાંઠા LCB એ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મોરબીના માળીયામીયાણા ખાતેથી ઝડપી પાડ્યા છે. આ બંનેને હિંમતનગર લાવી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ કેસ ત્રણ વર્ષ જૂનો છે. વર્ષ 2023માં હિંમતનગરમાં રવિકુમાર કાનજીભાઈ મોચીની પત્ની ચાંદનીબેન અને રમજાનમીયા કટિયા પ્રેમ સંબંધને કારણે ભાગી ગયા હતા. આ ઘટના બાદ રવિકુમાર મોચીએ સુસાઈડ નોટ લખીને ગત તા. 4 માર્ચ, 2023 ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રવિકુમારની આત્મહત્યા બાદ નોંધાયેલી ફરિયાદના આધારે ચાંદનીબેન અને રમજાનમીયા વિરુદ્ધ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા. LCB ના PI ડી.સી. સાકરીયાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે LCB સ્ટાફે રમજાનમીયા ઈબ્રાહીમભાઈ કટિયા (ઉંમર 28) અને ચાંદનીબેન દિનેશભાઈ ખેતશીભાઈ ચાવડા (મોચી) (ઉંમર 25) ને માળીયામીયાણા, નવા રેલવે સ્ટેશન સામે, જી. મોરબી ખાતેથી ઝડપી પાડ્યા હતા. આ બંને મૂળ મિરજાપર, તા. ભુજ, જી. કચ્છના રહેવાસી છે. આરોપીઓની ધરપકડ બાદ તેમને હિંમતનગર લાવવામાં આવ્યા હતા અને કાયદેસરની વધુ કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:10 pm

વ્યારા નગરપાલિકા માટે ભાજપે ગત ટર્મના પ્રમુખનું પત્તું કાપ્યું:કોંગ્રેસના નિરવ અધ્વર્યુને ટિકિટ મળતા જ ભાજપનો ખેસ ધારણ કર્યો, મોટાભાગના નવા ચહેરાઓને તક

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વ્યારા નગરપાલિકાના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે, જ્યાં કેટલાક મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે. વ્યારા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસના નિરવ અધ્વર્યુને ભાજપે ટિકિટ આપી છે. ટિકિટ મળતા જ તેમણે ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ સહિતના અગ્રણીઓની હાજરીમાં વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત, ભાજપે 'નો રિપીટ' થિયરી અપનાવીને ગત ટર્મના નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાયને ટિકિટ આપી નથી. મોટાભાગની બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેના કારણે કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બેઠકોનું ગણિત ભાજપે સમગ્ર જિલ્લામાં કુલ 238 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તાપી જિલ્લા પંચાયતના 24 ઉમેદવાર જાહેરનિઝર તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેરઉચ્છલ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેરવાલોડ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેરસોનગઢ તાલુકા પંચાયતના 18 ઉમેદવાર જાહેરવ્યારા તાલુકા પંચાયતના 20 ઉમેદવાર જાહેરકુંકરમુંડા તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેરડોલવણ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેરઉકાઈ તાલુકા પંચાયતના 16 ઉમેદવાર જાહેરવ્યારા નગરપાલિકાના 28 ઉમેદવાર જાહેર ભાજપે ટિકિટ વિતરણમાં જ્ઞાતિગત સમીકરણો અને જીતી શકે તેવા ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વ્યારા નગરપાલિકામાં નવા ચહેરાઓને પ્રાધાન્ય આપીને સત્તા વિરોધી લહેરને ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ રણનીતિ કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:05 pm

હાઇકોર્ટમાં દુષ્કર્મ પીડિતા યુવતીએ ગર્ભપાતની અરજી કરી:હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ પાસે યુવતીનો મેડિકલ રીપોર્ટ મંગાવ્યો

ગુજરાત હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને એક દુષ્કર્મ પીડિતાને જરૂરી સારવાર આપવાનો આદેશ આપ્યો છે, જેણે ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની આ 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભ ગર્ભપાત કરવા વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી ત્યારબાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી અને તેણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ સત્તાધીશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. 'હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે'જ્યારે આ અરજી સુનાવણી માટે આવી ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા હોસ્પિટલમાં છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ન્યાયાધીશે હોસ્પિટલ સત્તાધીશોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું જે સાંભળીને હાઇકોર્ટે અરજદારના વકીલને પૂછપરછ કરી હતી કે, પીડિતા હોસ્પિટલમાં દાખલ થવા માટે કેમ આગ્રહ કરી રહી છે. જો કે ન્યાયાધીશે હોસ્પિટલ સત્તાધીશોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો અરજદારને અન્ય કોઈ સારવારની જરૂર હોય, તો હોસ્પિટલ સત્તાધીશોએ તે બાબતે ધ્યાન આપવું જોઈએ અને તેને જરૂરી સારવાર પૂરી પાડવી જોઈએ. સોલા સિવિલ પાસે યુવતીનો મેડિકલ રીપોર્ટ માંગ્યોહાઈકોર્ટના આ નિર્દેશો ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાયના આદેશ સાથે આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે આ અંગેનો અહેવાલ 13 એપ્રિલ સુધીમાં માંગ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:01 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AAPએ ટિકિટ આપી છતાં મહિલા ડોક્ટરે પક્ષને પડતો મૂક્યો, ચૂંટણી લડવાથી ધાર્મિક માલવિયાની પીછેહઠ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:55 pm

પાટણ દ્વારકાધીશ મંદિરે મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે:ચૈત્ર વદ અગિયારસે પ્રભાતફેરી, શૃંગાર પલના અને શોભાયાત્રા યોજાશે

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ ચૈત્ર વદ અગિયારસ, તારીખ 13 એપ્રિલ 2026, સોમવારે ઉજવાશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાગટ્યોત્સવના દિવસે સવારે 6:00 વાગ્યે શ્રી દ્વારકાધીશ મંદિરેથી પ્રભાતફેરી નીકળશે. ત્યારબાદ સવારે 10:15 કલાકે શૃંગાર પલના અને રાજભોગ ફુલ મંડળી યોજાશે. સવારે 11:30 કલાકે રાજભોગમાં તિલક કરવામાં આવશે. સાંજે 5:00 કલાકે શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ઉત્થાપન આરતીના દર્શન રાબેતા મુજબ થશે. શયનમાં પીળી ઘટાના દર્શન બાદ સમાજ કીર્તનનું આયોજન કરાશે. આ ઉપરાંત, ચૈત્ર વદ નોમ, તારીખ 11 એપ્રિલ 2026, શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાકે શ્રી વલ્લભ સાખીના પાઠ પણ યોજાશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:55 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નારાજ નેતાઓથી ભાજપ ભયમાં મૂકાતા કાર્યાલયે પોલીસ ગોઠવી, ઢોસાના ખીરાથી મોત કેસમાં ડાયરીએ રહસ્ય ખોલ્યું

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:54 pm

મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા:શોભાસણ બ્રિજ પાસેથી 9.83 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો હતો

મહેસાણા-હિંમતનગર હાઈવે પર શોભાસણ બ્રિજ પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી જાવેદખાન અહેમદખાન કુરેશીની જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતા આ ગંભીર ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. 98.33 ગ્રામ ડ્રગ્સ સાથે શખસ ઝડપાયો હતોઆ કેસની વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે મહેસાણા-હિંમતનગર રોડ પર શોભાસણ બ્રિજ પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે 98.33 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 9,83,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં આરોપી જાવેદખાન કુરેશી સહિત અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરીજેલવાસ ભોગવી રહેલા આરોપી જાવેદખાન કુરેશીએ નિયમિત જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આરોપી પાસે થી વ્યાપારી માત્રામાં નશાકારક દ્રવ્યો મળી આવ્યા છે.જે સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે અત્યંત જોખમી છે.આવા ગંભીર પ્રકારના ગુનામાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય તેમ છે. સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહેસાણા સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ સરકારી વકીલની દલીલો સાથે સહમત થઈ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:53 pm

આવતીકાલે છેલ્લો દિવસ, છતાં ભાજપ-કોંગ્રેસની યાદીઓ અજાણ!:અનંત અંબાણીએ ઉજવ્યો 31મો બર્થ ડે, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી!

અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારના નામ લગભગ નક્કી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે...ત્યારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોને ફોન કરી જાણ કરવાનું શરૂ કર્યુ છે...અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારોના નામો લગભગ નક્કી છે પરંતુ હજુ ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા ચર્ચા ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ પહેલા ભાજપે ગાંધીનગર, પાટણ અને નર્મદા જિલ્લાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિરોધ કરનાર ભાજપે 23 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. તો રાજકોટની 11 તાલુકા પંચાયતનું લિસ્ટ મહામંત્રીની સહી વગર સોશિયલ મીડિયામાં ફરતું થયુંઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી કાઢ્યા ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ભાજપ કાર્યાલયમાથી ધક્કા મારી કાઢવામાં આવ્યા હતા... જે બાદ ગુસ્સામાં તેમણે કહ્યુ કે પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં વડોદરાની પોર બેઠક પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની પસંદગી થતા નયના પરમારની ટિકિટ કપાઇ છે જેથી તેઓએ બળવો પોકાર્યો છે. તેમના પતિએ અપક્ષ ફોર્મ ભરવાની જાહેરાત કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાહી થયુ. જેમાં એક વ્યક્તિનું મોત થયુ જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલાએ બચાવ કામગીરી હાથ ધરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમીન બચાવવા 10 ગામના રહીશો મેદાને મહેસાણા મનપાએ અમલમાં મુકેલી ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં 10 ગામના રહીશો મેદાને આવ્યા છે ... આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં જમીનો કપાતમાં જતી રોકવા માટે વિરોધ થઇ રહ્યો છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત નેશનલ હાઇવે 48 પર કરજણ નજીક ભરૂચ તરફ જઈ રહેલી આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ડ્રાઈવર અને બે મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાંદખેડા બાળકીઓના મોત કેસમાં ડાયરીનો વળાંક અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં માતાની એક ડાયરી મળી આવી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલછા અને શિવ મંદિરની માનતાનો ઉલ્લેખ મળ્યો છે. તો પૂછપરછ દરમિયાન પિતાનું વારંવાર બીપી હાઈ થઈ રહ્યું છે. જોકે પોલીસ તપાસ ચાલુ છે પરંતુ વધુ સ્પષ્ટતા એફએસએલ અને વિસેરા રિપોર્ટ બાદ થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પથ્થર, ધોકા અને બૂટ-ચપલથી ધિંગાણુ સુરતના અડાજણમાં બે જૂથ વચ્ચે પથ્થર, ધોકા અને બૂટ-ચપલથી મારામારી થઈ. ભીડભાડવાળા રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડતા નાસભાગ મચી ગઈ પોલીસ તપાસ શરુ ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનંત અંબાણીના બર્થ ડેનુ શાનદાર સેલિબ્રેશન અનંત અંબાણીએ પોતાનો 31મો જન્મદિવસ ફિલ્મ સ્ટાર્સ, પરિવારના લોકો અને મિત્રો વચ્ચે જામનગરના વનતારામાં ઉજવ્યો.. ગ્રાન્ડ પાર્ટી પહેલા અનંતે દાન-પુણ્ય કરીને ઉજવણીની શરૂઆત કરી. ફેન્સ અને સેલિબ્રિટીઓએ અનંતને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:50 pm

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: એક જ દિવસમાં 457 ફોર્મ:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારી પત્રો રજૂ

સાબરકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. શુક્રવારે એક જ દિવસમાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે કુલ 457 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ, શનિવાર છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 6 એપ્રિલથી ઉમેદવારી પત્રોનું વિતરણ અને સ્વીકારવાનું શરૂ થયું હતું. શુક્રવારે ભરાયેલા કુલ 457 ઉમેદવારી પત્રોમાંથી, આઠ તાલુકા પંચાયતો માટે 307, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 67 અને હિંમતનગર, ઇડર, વડાલી તથા પ્રાંતિજ નગરપાલિકા (એક વોર્ડની પેટાચૂંટણી સહિત) માટે 49 ઉમેદવારી પત્રો ભરાયા હતા. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, શુક્રવારે હિંમતનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 25, ખેડબ્રહ્મામાં 57, વિજયનગરમાં 22, ઇડરમાં 38, તલોદમાં 19, પ્રાંતિજમાં 23, વડાલીમાં 48 અને પોશીના તાલુકાની 20 બેઠકો માટે 75 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ, એક જ દિવસમાં તાલુકા પંચાયતો માટે કુલ 307 ફોર્મ રજૂ થયા.જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે શુક્રવારે 67 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં હિંમતનગર તાલુકાની 7 બેઠકો માટે 8, ખેડબ્રહ્મા તાલુકાની 4 બેઠકો માટે 11, વિજયનગર તાલુકાની 3 બેઠકો માટે 4, ઇડરની 6 બેઠકો માટે 12, પ્રાંતિજ તાલુકાની 4 બેઠકો માટે 6, વડાલીની 2 બેઠકો માટે 6 અને પોશીનાની 4 બેઠકો માટે 20 ઉમેદવારી પત્રોનો સમાવેશ થાય છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રોના આંકડા મુજબ, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 83 ઉમેદવારોએ 84 ફોર્મ ભર્યા છે. નગરપાલિકાઓમાં, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 17, ઇડરના 7 વોર્ડની 28 બેઠકો માટે 14 અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 23 ઉમેદવારી પત્રો ભરાયા છે. આમ, પાંચ દિવસમાં નગરપાલિકાઓમાં કુલ 55 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે શનિવારે વધુ એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:47 pm

લોદરા-સરગાસણથી બે શખસ IPL મેચ પર સટ્ટો રમતા ઝડપાયા:53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે સંકળાયેલાની શોધખોળ શરૂ કરી

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની બે અલગ-અલગ ટીમોએ આઈપીએલ ક્રિકેટ મેચો દરમિયાન ચાલતી સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. જે અન્વયે લોદરા અને સરગાસણ વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ક્રાઈમ બ્રાન્ચે બે સટોડિયાને કુલ રૂ.53 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇ માણસા અને અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોદરા ગામમાંથી 15 હજારથી વધુના મુદ્દામાલ સાથે સટોડિયો ઝડપાયોગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના એલ.સ ડી.બી. વાળાની સૂચનાથી પેટ્રોલીંગમાં રહેલી ટીમે માણસા તાલુકાના લોદરા ગામમાં દરોડો પાડ્યો હતો. શેઠીયાપુરા વિસ્તારમાં પોતાના ઘરની બહાર બેસીને મોબાઈલ પર હાર-જીતનો જુગાર રમી રહેલા સુનિલભાઈ રતિલાલ પટેલને પોલીસે દબોચી લીધો હતો. આરોપી પાસેથી 13,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન, 2770 રૂપિયાની રોકડ તેમજ સટ્ટાના આંકડા લખેલી ડાયરીઓ સહિત કુલ 15,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે. સરગાસણના શોપિંગ સેન્ટર પાસે ઓનલાઈન સટ્ટો રમતો શખસ પકડાયોબીજી તરફ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ 2ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારની ટીમને બાતમી મળી હતી કે સરગાસણના પ્રમુખ પેસીફીક શોપિંગ પાસે એક શખ્સ જાહેરમાં મોબાઈલ ફોન પર આઈપીએલ મેચનો ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જૈમિન પ્રકાશભાઈ પ્રજાપતિ (રહે. મોટેરા, અમદાવાદ)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એક શખ્સ વોન્ટેડ પોલીસની તપાસમાં તેની પાસેથી 35,000 રૂપિયાની કિંમતનો આઈફોન અને 3,000 રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સંદીપ પટેલ નામના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી અડાલજ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે આઈપીએલની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર સક્રિય થયા હોવાથી પોલીસે બાતમીદારોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:46 pm

કોંગ્રેસ ધારાસભ્યના ભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું:મહીસાગરની વિરાણીયા સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિરાણીયા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ભારતસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમણે કાર્યકરોના સમર્થન વચ્ચે પ્રાંત અધિકારીને ફોર્મ સુપરત કર્યું હતું. આ ઉમેદવારી ખાસ ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભારતસિંહ ચૌહાણ લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નાના ભાઈ છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિરાણીયાથી લુણાવાડા સુધી ડીજે અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય માહોલ વચ્ચે ફોર્મ ભરવામાં પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું. મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે. હાલ કોંગ્રેસે વિરાણીયા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યો છે, જ્યારે ભાજપ દ્વારા હજુ યાદી જાહેર કરવામાં આવી નથી. ભારતસિંહ ચૌહાણે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:38 pm

વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:76માંથી ફક્ત 14 ઉમેદવારોને જ રિપિટ કરાયા, જુઓ કોણ ફાવ્યું અને કોણ કપાયું?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવરોની યાદી જાહેર કરી છે. કુલ 19 વોર્ડ પર 76 ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. 76માંથી માત્ર 14 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે. ખાસ કરીને એવી માહિતી મળી છે કે, વોર્ડ 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જો કે, હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બળવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. આગામી ચૂંટણીમાં આટલા રીપિટ

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:37 pm

જીગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:ઇન્દ્રસિંહ પરમારે શુકલતીર્થ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે, 11મી એપ્રિલે છેલ્લો દિવસ છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તવરાના ઇન્દ્રસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષમાંથી શુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જીગ્નેશ બ્રહ્મભટ્ટ, જેઓ અગાઉ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો સૂચવે છે. બ્રહ્મભટ્ટે પોતાના રાજીનામા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન-સન્માન ન મળતા અસંતોષ ઊભો થયો છે, અને સંગઠનના નિર્ણયોમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની વાતને અવગણવામાં આવે છે. જીગ્નેશ બ્રહ્મભટ્ટને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ જ દિવસે, શુકલતીર્થ-28 જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે તવરા, શુકલતીર્થ, નિકોરા અને ઝનોર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકોના કોંગ્રેસ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવાના આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. ઇન્દ્રસિંહ પરમારની શુકલતીર્થ બેઠક પરથી એન્ટ્રી સાથે હવે આ બેઠક પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:36 pm

ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'નો-રિપીટ' શસ્ત્ર:7 વોર્ડ માટે 26 ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત, 23 નવા ચહેરાને તક માત્ર 3 ઉમેદવાર રિપીટ

ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગોધરા નગરપાલિકાના 7 વોર્ડ માટે 26 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પક્ષે આ વખતે આક્રમક વ્યૂહરચના અપનાવતા મોટા પાયે 'નો-રિપીટ' થિયરી લાગુ કરી છે, જેના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાયા છે. એન્ટિ-ઈન્કમ્બન્સી ખાળવા નવો પ્રયોગસત્તા વિરોધી લહેર (એન્ટિ-ઈન્કમ્બન્સી) ને ખાળવા અને મતદારોમાં નવો વિશ્વાસ જગાડવા માટે ભાજપે નવા ચહેરાઓ પર વધુ ભરોસો મૂક્યો છે. જાહેર કરાયેલા 26 ઉમેદવારોમાંથી 23 બેઠકો પર તદ્દન નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ભાજપે મોટો ઉલટફેર કર્યો છે. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માત્ર 3 ઉમેદવારોને જ મળી ફરી તકઆ યાદીમાં મોટાભાગના અનુભવી નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સમગ્ર યાદીમાં માત્ર 3 પૂર્વ સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. ફરીથી વિશ્વાસ સંપાદન કરનાર ઉમેદવારોમાં 3 નામોનો સમાવેશ થાય છે: વોર્ડ 10: ગૌરીબેન જોશી વોર્ડ 03: વર્ષાબેન ઠાકર વોર્ડ 04: દીપેશ ઠાકોર ભાજપની આ રણનીતિ આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો નવા ઉમેદવારોના નામ જાહેર થતા કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:34 pm

ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, 5 દિગ્ગજ પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા:જનતાની સેવાની દુહાઈ આપી લક્ષ્મણ રાજગોર અને મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો

દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં મસમોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં જૂના જોગીઓને કાપીને તમામ વોર્ડમાં નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની જે 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી છે, તેને લઈને પક્ષના પાયાના કાર્યકરો અને પૂર્વ પદાધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ હવે ખુલ્લી બળવાખોરીના સ્વરૂપમાં સામે આવ્યો છે, જેમાં ભાજપના 5 જેટલા પ્રભાવશાળી પૂર્વ નગરસેવકોએ પક્ષ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની હાજરીમાં આ તમામ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા શહેરના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષપલટાની આ ઘટનાએ ભાજપના મજબૂત ગઢ ગણાતા દાહોદમાં સત્તાના સમીકરણોને વેરવિખેર કરી દીધા છે. દિગ્ગજ નેતાઓના પક્ષપલટાથી ભાજપમાં સોપો પડી ગયો ભાજપ માટે સૌથી મોટો ઝટકો પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરનું રાજીનામું માનવામાં આવે છે. લક્ષ્મણ રાજગોર દાહોદ ભાજપનો એક મજબૂત સ્તંભ ગણાતા હતા, પરંતુ ટિકિટ વિતરણમાં તેમની અવગણના થતા તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે પૂર્વ નગરસેવક અહેમદ ચાંદ, માસુમાબેન ગરબાડાવાલા, અશ્વતબેન દલાલ અને કિંજલબેન પરમારે પણ ભાજપને અલવિદા કહી દીધું છે. આ પાંચેય નેતાઓ પોતપોતાના વિસ્તારમાં લોકપ્રિયતા અને જનસમર્થન ધરાવે છે. ગતરોજ આ નેતાઓએ ભાજપના સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપ છાવણીમાં મૌન છવાઈ ગયું છે. લક્ષ્મણ રાજગોરનો આકરો પ્રહાર: ભાજપમાં લોકશાહી ખતમ થઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરે ભાજપના સ્થાનિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં અત્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા 4 થી 5 લોકો જ આખી નગરપાલિકાનો વહીવટ ચલાવે છે. પાયાના કાર્યકરો કે જેણે વર્ષો સુધી પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો છે, તેમની કોઈ કિંમત રહી નથી. વધુમાં તેમણે ધડાકો કર્યો હતો કે તેમને પક્ષ ન છોડવા માટે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જનતાની સેવા કરવા માટે અને પોતાના સ્વાભિમાન માટે તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો મક્કમ નિર્ણય લીધો છે. જનતાની લાગણી અને સેવાનો ઉદ્દેશ્ય સર્વોપરીકોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ નગરસેવકોએ એકસૂરે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ જનતાની સેવા કરવાનો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી દાહોદની જનતા જે નેતૃત્વ જોઈ રહી છે, તેમાં પરિવર્તન અનિવાર્ય બન્યું છે. ભાજપમાં પાયાના કાર્યકરોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. માસુમાબેન ગાંગડીએ જણાવ્યું હતું કે, અમે પક્ષ ભલે બદલ્યો હોય, પણ અમારી કાર્યપદ્ધતિ અને લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ એ જ રહેશે. આ નેતાઓએ દાવો કર્યો છે કે તેમના મતદારો અને સમર્થકો પણ આ નિર્ણયથી ખુશ છે અને તેમને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. કોંગ્રેસની માસ્ટરસ્ટ્રોક રણનીતિ: ઉમેદવારો પાસે કરાવ્યા સોગંદનામાદાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ ભાજપના પાંચેય પૂર્વ નગરસેવકોને આવકારતા ભાજપના 'ભ્રષ્ટ શાસન' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શહેરમાં રસ્તા, પીવાના પાણી અને રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રસ્ત છે. આ વખતે કોંગ્રેસે એક નવી અને કડક રણનીતિ અપનાવી છે. પક્ષમાં જોડાયેલા તમામ પાંચેય પૂર્વ કાઉન્સિલરો પાસે કાયદેસરનું સોગંદનામું કરાવવામાં આવ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ તેઓ કોઈ પણ લોભ-લાલચમાં આવીને કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જશે નહીં. આ પગલાથી કોંગ્રેસે મતદારોને એ ખાતરી આપી છે કે તેમનો મત એળે જશે નહીં. 'નો રિપીટ થિયરી' ભાજપ માટે આત્મઘાતી સાબિત થશે?ભાજપે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) રોકવા માટે જે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી છે, તે અત્યારે ઉંધી પડતી જણાય છે. વર્ષોથી જનતા વચ્ચે રહેતા અને પક્ષનું કામ કરતા નેતાઓને અચાનક કાપી નાખવાથી કેડર લેવલે ભારે અસંતોષ છે. ભાજપના જે નેતાઓ કોંગ્રેસમાં ગયા છે, તેઓ તો દેખીતી રીતે પક્ષને નુકસાન પહોંચાડશે જ, પરંતુ જેઓ હજુ ભાજપમાં રહી ગયા છે અને ટિકિટથી વંચિત છે, તેઓ પણ અંદરખાને 'ભીતરઘાત' કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ભાજપ દ્વારા નારાજ નેતાઓને મનાવવાના તમામ પ્રયાસો અત્યાર સુધી તો નિષ્ફળ રહ્યા છે.દાહોદમાં હવે ત્રિપાંખિયો જંગ અને નવા રાજકીય સમીકરણોદાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. હવે ભાજપના પાંચ મજબૂત ચહેરાઓ કોંગ્રેસમાં જોડાતા જંગ વધુ રોમાંચક બન્યો છે. આ પક્ષપલટાથી અમુક વોર્ડમાં ભાજપના સમીકરણો સાવ બદલાઈ ગયા છે. ભાજપ હવે 'નવા ચહેરા' અને 'મોદી કાર્ડ' પર ભરોસો રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ 'અનુભવી ચહેરા' અને 'સ્થાનિક રોષ'નો ફાયદો ઉઠાવવા માંગે છે.ચૂંટણીના પરિણામો પર સૌની મીટદાહોદની જનતા આ પક્ષપલટાને કઈ રીતે લે છે તે તો આવનારો સમય જ બતાવશે. એકતરફ ભાજપનું સંગઠન માળખું છે અને બીજી તરફ કોંગ્રેસમાં જોડાયેલા અનુભવી લોકપ્રતિનિધિઓ છે. શું જનતા વર્ષોથી જોડાયેલા આ નેતાઓને પક્ષ બદલ્યા પછી પણ સ્વીકારશે? કે પછી ભાજપના કમળ પર ફરી વિશ્વાસ મૂકશે? આ તમામ સવાલોના જવાબ ચૂંટણીના પરિણામો સાથે જ મળશે. હાલ તો એટલું ચોક્કસ છે કે 5 નગરસેવકોના રાજીનામાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:27 pm

મોડાસાની દધાલિયા બેઠક પર આયાતી ઉમેદવારનો વિરોધ:કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા; ઉમેદવાર ન બદલાય તો પરિણામ પર અસરની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગીને લઈને કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે. મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર આયાતી ઉમેદવારના આક્ષેપ સાથે કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ગત રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાં જ મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠકના કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટપણે બહાર આવી હતી. આજે દધાલિયાના ગ્રામજનો અને કાર્યકરો મોડાસા ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' પહોંચ્યા હતા. તેમણે આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવારને બદલવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે, તો તેના પરિણામ માટે ભાજપ સુપ્રીમો જવાબદાર રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:14 pm

પાટડીમાં જોવા મળ્યા માનવતા અને પશુપ્રેમના દ્રશ્યો:વ્હીલચેર પર પૌત્રી સાથે બેસી દિવ્યાંગ દાદાએ વાનરને પ્રેમથી બિસ્કિટ ખવડાવ્યા; જીવદયાના સિંચ્યા ઉમદા સંસ્કાર

ઝાલાવાડના પાટડી પંથકમાં માનવતા અને પશુ પ્રેમનો એક અત્યંત હૃદયસ્પર્શી અને અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વ્હીલચેરની મર્યાદા વચ્ચે પણ એક દિવ્યાંગ નિવૃત્ત દાદા પોતાની પૌત્રી સાથે મળીને એક વાનરને અત્યંત સ્નેહપૂર્વક બિસ્કિટ ખવડાવતા નજરે પડ્યા હતા, જે દ્રશ્ય નિહાળી સૌ કોઈના હૃદય ભરાઈ આવ્યા હતા. આ કરુણાભર્યા દ્રશ્યના કેન્દ્રમાં મહેન્દ્રભાઈ કંસારા નામના વૃદ્ધ દાદા હતા, જેઓ પોતાની શારીરિક અશક્તતાને કારણે વ્હીલચેર પર બેઠા હતા. તેમની સાથે તેમની લાડકવાઈ પૌત્રી મિષ્ટી પણ જોડાઈ હતી. આ બંને દાદા-પૌત્રીએ સાથે મળીને કુદરતના અબોલ જીવ એવા વાનર પ્રત્યે આત્મીયતા દર્શાવી બિસ્કિટ અર્પણ કર્યા હતા. ખૂબ જ અદભૂત વાત તો એ હતી કે, સામાન્ય રીતે ચંચળ ગણાતો વાનર પણ મહેન્દ્રભાઈ અને મિષ્ટીના હાથમાંથી અત્યંત શાંતિ અને નિર્ભયતાથી બિસ્કિટ આરોગી રહ્યો હતો. આ દ્રશ્ય માનવ અને પશુ વચ્ચેના પરસ્પર વિશ્વાસ, અસીમ સ્નેહ અને નિઃસ્વાર્થ લાગણીનો એક વિરલ દાખલો પ્રસ્થાપિત કરે છે. આ ઘટના માત્ર પશુને ભોજન કરાવવા પૂરતી સીમિત નથી, પરંતુ તેના દ્વારા દાદા પોતાની પૌત્રીને કુમળી વયે જ જીવદયા અને પરોપકારના પાયાના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. શારીરિક અશક્તતા હોવા છતાં, અન્ય જીવો પ્રત્યેની તેમની આ કરુણા અને સંવેદના સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:09 pm

16 વર્ષ પછી ગુજરાત પોલીસને મોટી સિદ્ધિ:ડોગ ‘ચેક’ નાગપુરમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત્યો ગોલ્ડ મેડલ, DGPએ કર્યું સન્માન

ગુજરાત પોલીસનાં ‘ચેક’ નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025–26માં બે અલગ-અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસનાં ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું. રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષે રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો માર્ચ-એપ્રિલ, 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી આ 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી કારણ કે, રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે રાજ્યના પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યોગુજરાત પોલીસના કુલ છ ડોગે ત્રણ અલગ-અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી—ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ—માં બે ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા. ગુજરાત પોલીસનો ‘ચેક’ ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે” એમ ગુજરાત પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડએ જણાવ્યું હતું. ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ‘ચેક’એ બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો. નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતાઆ સમગ્ર ઈવેન્ટમાં વિવિધ રાજ્ય પોલીસ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધા પહેલાં ગુજરાત પોલીસે વહેલી તકે તૈયારી શરૂ કરી હતી અને મેડલ મેળવવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી માટે થોડા મહિના પહેલાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરની પોલીસ ડોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પસંદ કરાયેલા ડોગને વિશેષ તાલીમ આપવામાં આવી, તેમને કડક ટ્રેનિંગ શેડ્યૂલ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય સંભાળ આપવામાં આવી હતી. કુલ નવ ડોગ્સને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંથી છ ડોગ્સે વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ, અને દારૂ શોધ સહિત વિવિધ કામગીરી માટે પ્રશિક્ષિત છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:05 pm

ચોટીલામાં ખનિજ માફિયાઓ પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે છટકું ગોઠવી ગેરકાયદે કોલસાનો કુવો ઝડપ્યો

ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખનિજ માફિયાઓ પર કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવી થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામમાં ગેરકાયદેસર કોલસાનો કુવો ચલાવવામાં આવી રહ્યો હતો, જેને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે આ સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે 2:10 વાગ્યાના અરસામાં છટકું ગોઠવીને ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન કુલ 51.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક લોડર મશીન, એક ડમ્પર અને 40 મેટ્રિક ટન કોલસો શામેલ છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં અરવિંદભાઈ રમેશભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ), મુકેશભાઈ રાયસંગભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ) અને ઘુઘાભાઈ ખાંભલા (રહે. મોરસલ, તા. સાયલા) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ “ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017” હેઠળ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સ્થાનિક સ્તરે બેદરકારી દાખવવા બદલ ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:58 pm

ચહલે દારૂ છોડી દીધો?:રોહિતે મેદાનમાં જ ભજ્જીને ઉઠાવ્યો, દિગ્વેશે દગાબાજી કરી, ગોએન્કાએ વિનરને વ્હાલ કર્યું

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:55 pm

જૂનાગઢ જિ.પં.ના પૂર્વ ચેરમેન દંપતીએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાશે:ટિકિટ વિતરણ અને આંતરિક જૂથવાદને લઈ સંગઠન સામે ગંભીર આક્ષેપો, ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન દિવરાણીયા અને તેમના પતિ અર્જણભાઈ દિવરાણીયાએ ભાજપના સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. વર્ષોની વફાદારી બાદ પણ પક્ષમાં થયેલી અવગણનાને કારણે આ દંપતી હવે આમ આદમી પાર્ટી (AAP) તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાકરબેન ધંધુસર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વિનોદ બુસા અને જોલીત બુસા આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી સાસણ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા છે જેનાથી આ બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. અરજણભાઈ દિવરાણીયાના ભાજપ પર ગંભીર આક્ષેપો​પૂર્વ ચેરમેનના પતિ અને પક્ષના પાયાના કાર્યકર્તા ગણાતા અર્જણભાઈ દિવરાણીયાએ પક્ષ છોડતી વખતે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ 1995માં કેશુભાઈ પટેલના સમયથી એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય હતા. તેમની પાસે તે સમયની 5 રૂપિયાની સભ્ય ફીની પહોંચ પણ હજુ સચવાયેલી છે. ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો કર્યો​તેમણે પક્ષની આંતરિક કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા કહ્યું કે, 2024ના જિલ્લા પંચાયતના બજેટ બોર્ડ વખતે પક્ષના જ કેટલાક નેતાઓએ તેમને હાજર ન રહેવા સૂચના આપી હતી. ભાજપ પાસે 30 માંથી 25 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, માત્ર 11 સભ્યોની હાજરીમાં વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યોનો ટેકો લઈને બજેટ પસાર કરવાની જે નીતિ અપનાવાઈ, તેનાથી તેઓ વ્યથિત છે. આ અંગેના ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેનને મેદાનમાં ઉતાર્યા​રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, ધંધુસર બેઠક પર ટિકિટ ન મળતા આ નારાજગી ઉભી થઈ છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેન દિવરાણીયાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, સાકરબેન અને અર્જણભાઈનું માનવું છે કે પક્ષમાં વફાદાર કાર્યકર્તાઓને બદલે આયાતી અથવા ચોક્કસ જૂથના લોકો પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ખાસ કરીને શાપુર બેઠક પર ઇન્દુબેન ભરતભાઈ ચાવડાની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના પતિ ભરતભાઈ ચાવડા 2020-25 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવારોની યાદી​જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે 'કમલમ' (ગાંધીનગર) થી ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે, જે મુજબ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે. સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યની રણનીતિ​અર્જણભાઈ દિવરાણીયાએ ઉમેર્યું કે, તેઓ માત્ર રાજકારણ માટે નહીં પણ જનસેવા માટે મેદાનમાં છે. 2001થી 'દાતાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરીને તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. હવે જ્યારે સાકરબેન 'આપ' માંથી ધંધુસર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને પંથકની જનતાના આશીર્વાદ મળશે તેઓ અતૂટ વિશ્વાસ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:54 pm

સાણંદ-ધોલેરામાં બનશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક:12 હજાર રોજગારની તક, સેમિકન્ડક્ટર હબ બનવાની ગુજરાતની દિશામાં મોટું પગલું; EV-રોબોટિક્સ સહિતના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન

રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને હવે સાણંદ-ધોલેરામાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. 1000 કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણનું લક્ષ્યગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ MOU સાઇન કરવામાં આવ્યો હતો. આ અવસરે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કરાર હેઠળ સાણંદ-ધોલેરા વિસ્તારમાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં આવશે, જ્યાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન (EV), રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને તાઈવાનની કંપનીઓ દ્વારા રૂ. 1000 કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણ (FDI)નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશેઆ સાથે આગામી પાંચ વર્ષમાં આશરે 12,000 લોકોને સીધી રોજગારી મળવાની શક્યતા છે. રાજ્યમાં હાલ 1.24 લાખ કરોડથી વધુના સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે, ત્યારે આ નવી પહેલ ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં આધુનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસશે, જેનાથી રોકાણકારોને આકર્ષણ વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:50 pm

મણીયારી ઉચાપત કેસમાં મંત્રીને સજા:16 વર્ષ જૂના કેસમાં કોર્ટે પ્રોબેશનનો લાભ આપ્યો

પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચાણસ્મા તાલુકાના મણીયારી ગામની દૂધ મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ નારણદાસ પટેલને 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. જોકે, કોર્ટે તેમને સુધારાની તક આપવા માટે પ્રોબેશનનો લાભ આપવાનો આદેશ કર્યો છે. આ કેસ વર્ષ 2009-2010 દરમિયાન થયેલી કુલ રૂ. 2,50,871.42 (રૂ. 2,45,670.42 કાયમી અને રૂ. 5,201 હંગામી) ની ઉચાપત સંબંધિત છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે આરોપી જીવણલાલ પટેલ (ઉંમર 45)ને ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ છ માસની સાદી કેદ અને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ પણ કરાયો હતો. જોકે, કોર્ટે આરોપીને જેલમાં મોકલવાને બદલે ત્રણ મહિનાના સમયગાળા માટે રૂ. 7,500ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીએ ઉચાપત કરેલી રકમ મંડળીને પરત કરી દીધી છે. ઉપરાંત, આરોપીની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને પ્રોબેશનનો લાભ આપવાથી કાયદાનો હેતુ જળવાશે. કેસની જૂનાઈ અને સજાની જોગવાઈઓ જોતાં, આરોપી પ્રોબેશનનો લાભ મેળવવા પાત્ર છે. પાટણ કોર્ટે આરોપી માટે કેટલીક શરતો પણ લાદી છે. જેમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન સુલેહ-શાંતિ જાળવવી, કોઈપણ ગેરકાનૂની કૃત્ય ન કરવું, રહેઠાણનું સરનામું જાહેર કરવું અને કોર્ટની પરવાનગી વિના તેમાં ફેરફાર ન કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કેસમાં સરકારી વકીલ સી.એલ. દરજીએ દલીલો રજૂ કરી હતી. કેસની વિગતો અનુસાર, પાટણ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરીના અધિકારી જયંતિભાઈ કોદરભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મણીયારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ પટેલે 1 ઓક્ટોબર 2009 થી 31 માર્ચ 2010 દરમિયાન મંડળીના ગ્રાહકોના નાણાંની ઉચાપત કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદ 2010માં ચાણસ્મા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 408 અને 477(એ) હેઠળ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના 16 વર્ષ બાદ અને કોર્ટમાં 14 વર્ષ, 2 માસ અને 15 દિવસની લાંબી સુનાવણી પછી આ કેસનો નિકાલ આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:49 pm

AIIMSના પાંચ વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં અરજી:આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધાયો હતો, વધુ સુનાવણી 22 જૂનના રોજ થશે

રાજકોટની AIIMSના પાંચ મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગયા મહિને એક અંતિમ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા, તેને દુષ્પ્રેરણ આપવાના આરોપો લાગેલા છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટ પણ છોડી હતી. ગયા મહિને પાંચ MBBS વિદ્યાર્થીઓ પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ક્લાસમેટ એવા રાજસ્થાનના રતન કુમાર મેઘવાલે 14 માર્ચે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ પાંચેય વિરુદ્ધ BNS અને એટ્રોસિટી એક્ટ અધિનિયમ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધાયો હતો. મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતીઆરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી રજૂઆત કરાઈ હતી કે, મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતી. જેમાંથી બે નોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંસ્થાના ફેકલ્ટી સભ્યોને મોકલવામાં આવી હતી, જ્યારે ત્રીજી નોટ રેલ્વે ટ્રેક પાસે તેના મૃતદેહ નજીક પડેલી બેગમાંથી મળી આવી હતી. આરોપી વિદ્યાર્થીઓએ તેની સાથે એક મહિનાથી વધુ સમયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે, મેઘવાલે 27 જાન્યુઆરીએ તેની પ્રથમ સુસાઈડ નોટ શેર કરી હતી અને બીજા દિવસે તે રાજકોટમાં રેલ્વે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવીમૃતક વિદ્યાર્થીની મેડિકલ ટ્રીટમેન્ટનો ઉલ્લેખ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, તે સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હતો અને તેની એક સુસાઈડ નોટમાં એક છોકરીના નામનો પણ ઉલ્લેખ હતો. પોલીસ સમક્ષ મેઘવાલના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે એક મહિનાથી આ પાંચ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ન હતી. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, FIRમાં પ્રથમ સુસાઈડ નોટનો ઉલ્લેખ છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ લખ્યું હતું કે, એક દિવસ પહેલા આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર મેઘવાલના પિતાને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:46 pm

પરીક્ષા આપવા જઈ રહેલા 9 વર્ષીય માસૂમ પર ડોગનો હુમલો:લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો, પરીક્ષા પણ ન આપી શક્યો

ઉન તિરુપતિ નગરમાં રહેતો 9 વર્ષીય વિદ્યાર્થી અયાન અંસારી સવારે ઘરેથી ઉત્સાહ સાથે પોતાની વાર્ષિક પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ એક રખડતા શ્વાને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને અયાનના પગના ભાગે ગંભીર રીતે બચકું ભરી લેતા તે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. આ કમનસીબ ઘટનાને કારણે માસૂમ અયાન હોસ્પિટલના બિછાને પહોંચ્યો અને પોતે જેના માટે તૈયારી કરી હતી તે પરીક્ષા આપી શક્યો નહોતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં અયાનને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના હુમલાને કારણે બાળકના પગમાં ઊંડા જખમ થયા હોવાથી તબીબો દ્વારા તેને તાત્કાલિક ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવીઅયાનના પિતા મહમદ મુબલી અંસારીએ જણાવ્યું હતું કે, તેમને શાળાના શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. દીકરાને ઇજા પહોંચતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તિરુપતિ નગરમાં રખડતા શ્વાનોનો ભારે આતંકસચિનના ઓમ પાટિયા અને તિરુપતિ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અહીં રખડતા શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે નાના બાળકોને એકલા બહાર મોકલતા પણ વાલીઓ ડરી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ પણ અનેકવાર શ્વાનોએ રાહદારીઓ પર હુમલા કર્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અયાન પર થયેલા હુમલા બાદ વિસ્તારના લોકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પિતાની હૈયા વરાળ: 'તંત્ર થોડું ધ્યાન આપે'અયાનના પિતા મહમદ અંસારીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, મારો પુત્ર માત્ર 9 વર્ષનો છે. આજે તેની પરીક્ષા હતી અને તે મહેનત કરીને ઘરેથી નીકળ્યો હતો, પણ આ રખડતા કૂતરાને કારણે તે આજે પેપર આપી શક્યો નથી. હું તંત્રને એટલી જ વિનંતી કરવા માંગુ છું કે અમારા વિસ્તારમાં થોડું ધ્યાન આપે અને આ શ્વાનોના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવવા માટે જરૂરી પગલાં ભરે, જેથી અન્ય કોઈ બાળકનો અભ્યાસ કે જીવ જોખમમાં ન મુકાય.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:43 pm

હાઈકોર્ટ વચગાળાનો હુકમ પસાર કરી શકે:AI જનરેટેડ ડીપ ફેક કન્ટેન્ટ ઉતારવા સરકારની સૂચનાઓને પ્લેટફોર્મ પ્રોવાઇડર માનતા નથી, કોર્ટનો પ્રશ્ન કે તેમની સામે પગલાં લેવા શું પ્રાવધાન?

ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ.વિ.નાયરે એડવોકેટ અમિત પંચાલ દ્વારા AI અને ડીપફેકને લઈને જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં આજે ચીફ જજની બેન્ચ સમક્ષ વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં કોર્ટના હુકમ અનુસાર રાજ્ય સરકારે કેટલાક સૂચનો અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે એફિડેવિટ ફાઇલ કરી હતી. મૂળ મુદ્દો એ જ હતો કે, પ્લેટફોર્મ પ્રોવાઇડર કંપનીઓને સૂચના આપવા છત્તા કન્ટેન્ટ દૂર કરતી નથી અને મોટાભાગે કહે છે કે, URL ઉપલબ્ધ નથી. બાળકો પણ AIથી બનેલા વીડિયો જુએ છે. લોકોને પણ સમજતા સમય લાગે છે કે, આ AI જનરેટેડ વીડિયો છે. 2026માં પ્લેટફોર્મ પ્રોવાઇડરને 107 કન્ટેન્ટ દૂર કરવા કહ્યું હતુંકેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તેઓએ સહયોગ પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં તમામ પ્લેટફોર્મ પ્રોવાઇડર જોડાયેલા છે. તેમને વાંધાજનક AI જનરેટેડ કન્ટેન્ટ ઉતારવા માટે જણાવવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે પ્લેટફોર્મ દ્વારા આવા વિડિઓ કોઈ ઓથેન્ટિકેશન વગર મૂકી શકે નહીં, જો ઓથેન્ટિકેશનની વ્યવસ્થા ના હોય તો પ્લેટફોર્મ ઉપર આવતી ફરિયાદો ધ્યાને લેવી જોઈએ. રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે, જાન્યુઆરી, 2026માં પ્લેટફોર્મ પ્રોવાઇડરને 107 કન્ટેન્ટ દૂર કરવા કહ્યું છત્તા તે પ્લેટફોર્મ ઉપર છે. વિદેશમાંથી પણ ફરિયાદના ફોન આવે છે, લોકોની ઇમેજ ખરાબ થઈ રહી છે. ડીપ ફેક વીડિયોને તો ઓળખવો અઘરો છે. કેન્દ્રના ગૃહ વિભાગના જણાવે મુજબ નિયમો ચાલુ વર્ષે 2026 માં બન્યા છે. જેમાં ફેક વિડિઓ ઉતારવા પ્લેટફોર્મને સૂચનાઓ આપવામાં આવે છે. કોર્ટે પૂછ્યું હતું કે, જો પ્લેટફોર્મ પ્રોવાઇડર ના માને તો શું કરશો ? કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નિર્દેશ ઉપર ત્રણ કલાકમાં કન્ટેન્ટ હટાવવુ પડે, પહેલા આ સમય 36 કલાકનો હતો. કોર્ટે ફરી પૂછ્યું હતું કે જો તેઓ કન્ટેન્ટ ના ઉતારે તો શું? આરોપ સાબિત કરવા કોર્ટ ટ્રાયલની જરૂર પડે એમાં ટાઈમ જોઈએસરકારી વકીલે કહ્યું હતું કે, IT એક્ટ 66C, 66D અને 66E અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, તેના પ્રાવધાન તો ખોટું કન્ટેન્ટ ચઢાવનાર સામે છે પણ પ્લેટફોર્મ માટે શું? તમે શું કરી શકો? તમે નિર્દેશ આપી શકો પણ નિર્દેશ ન માને તો શું? કેન્દ્રએ કહ્યું હતું કે, રાજ્ય વિરુદ્ધના ગુન્હાઓ માટે સખત કાર્યવાહીના પ્રાવધાન લાગુ છે પણ પ્રાઇવેટ ફરિયાદ માટે નહીં. જો પ્લેટફોર્મ પ્રોવાઇડર AI જનરેટેડ વાંધાજનક કન્ટેન્ટ જાતે દૂર ન કરે અથવા સૂચના બાદ ભી દૂર ના કરે તો સહ આરોપી બને છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે આરોપ સાબિત કરવા કોર્ટ ટ્રાયલની જરૂર પડે એમાં ટાઈમ જોઈએ, એના માટેનો સમય નથી. એક હજાર ફરિયાદમાંથી માત્ર 14 ફરિયાદનો જ પ્લેટફોર્મ પ્રોવાઇડરે જવાબ આપ્યો હતોકોર્ટે કહ્યું હતું કે, સૂચના આપ્યા બાદ ત્રણ કલાકનો સમય કન્ટેન્ટ ઉતારવા માટે વધુ કહેવાય. તુરંત થતી હાનિ કેવી રીતે અટકાવી શકાય? તમે જાતે પ્લેટફોર્મ ઉપરથી કન્ટેન્ટ ઉતારી શકો તેમ નથી. તુરંતના પગલા લેવા માટે શું પ્રાવધાન છે? રાજ્ય સરકાર વતી કહેવાયું હતું કે, એક હજાર ફરિયાદમાંથી માત્ર 14 ફરિયાદનો જ પ્લેટફોર્મ પ્રોવાઇડરે જવાબ આપ્યો હતો. વળી X સહયોગ પોર્ટલ સાથે સંકળાયેલ નથી. આથી એક યોગ્ય મિકેનિઝમ બનાવવાની જરૂર છે. સોશિયલ મીડિયા જ્યારે IT મંત્રાલય અંતર્ગત આવે છે ત્યારે હવે કોર્ટ પ્લેટફોર્મ પ્રોવાઇડરને નિયમો પાળવા હુકમ કરી શકે છે. ગત સુનવણીમાં રજૂઆત કરાઈ હતી કે બંધારણીય હોદ્દેદારોના પણ મોટા પાયે AI જનરેટેડ અને ડિપફેક વીડિયો તેમજ ફોટા બની રહ્યા છે. તેનાથી પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને લોકોનો વિશ્વાસ ઘટે છે. ત્યારે IT એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે તેની ઉપર નિયમો બનાવવા જરૂરી છે. ઓફિસિયલ ગેઝેટ અને નોટોફિકેશન દ્વારા આવા નિયમો બની શકે છે. IT એક્ટ પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપેએડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AI જનરેટેડ ખોટા વીડિયોને દૂર કરવા ઓથોરિટીએ મીડીયમને જણાવવું પડે છે. વળી આવા નકલી ફોટા અને વીડિયો ખોટા IDથી ચઢાવ્યા હોય તો તેને ઓળખી કાઢવો મુશ્કેલ બને છે. IT એક્ટની કલમ 69A આ બાબતની જોગવાઈ કરે છે. જે પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપે છે. સામાન્ય રીતે દેશની સલામતી, આંતરરાષ્ટ્રીય મિત્રતા, પબ્લિક ઓર્ડર વગેરેને લઈને પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ બ્લોક કરવા સૂચના આપી શકાય છે. IT એક્ટ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર તેની ઉપર નિયમો બનાવી શકે છે. ફેક કન્ટેન્ટને દૂર કરવામાં પ્લેટફોર્મ પ્રોવાઈડર 36 કલાકનો સમય લે છેઅરજદારને રાજ્યના સાયબર ડિપાર્ટમેન્ટ તરફથી ઇમેઇલ મળ્યો હતો કે, જો તેઓને આવી કોઈ ફરિયાદ મળે તો તેઓ પગલા લે છે. કોર્ટે કહ્યું હતું કે, નકલી ફોટો અને વીડિયો દ્વારા વ્યક્તિને ખરાબ ચીતરવામાં આવે છે. બાળકો અને માનવતા વિરુદ્ધ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થતા થયા છે. લોકોની ઓળખી ચોરી કરવામાં આવે છે, તેમની ગોપનીયતાનો ભંગ કરવામાં આવે છે. તેમજ અશ્લીલ અને સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર ચઢાવવામાં આવે છે. પરંતુ તેને દૂર કરવાની સૂચના આપતા પ્લેટફોર્મ પ્રોવાઇડર 36 કલાકનો સમય લે છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AI અને ડીપફેક મામલે પ્લેટફોર્મ પ્રોવાઇડરને લઈને ચીન કડક કાયદાઓ લાવ્યું છે. જો પ્લેટફોર્મ પ્રોવાઇડરને કન્ટેન્ટ દૂર કરવા રજૂઆત કરવામાં આવે તો તેઓ જવાબ નથી આપતા. હાઇકોર્ટે કહ્યું હતું કે, પ્લેટફોર્મ પ્રોવાઇડર સમક્ષ વાંધો ઉઠાવવાથી તેઓ જવાબ આપે છે અથવા નથી પણ આપતા કારણકે તે વિવાદાસ્પદ પોસ્ટ ઉપર સતત લાઈક્સ મળતી હોય છે. જેથી તેને તેઓ પોતાના પ્લેટફોર્મ ઉપરથી નીચે નથી ઉતારતા. ગુજરાત હાઇકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગ રૂલમાં કોપીરાઇટ હોવા છતાં તેના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થાય છે, જે અંગે પ્લેટફોર્મને જાણ કરવા છતાં તે વીડિયોને દૂર કરાતા નથી. વળી આવા કેટલાય નકલી વીડિયો અને ફોટા બનતા રહે છે, જેને રોકવા ખૂબ જ અઘરા છે. તેને રિયલ ટાઈમ જ પ્લેટફોર્મ પરથી ઉતારવા પડે તો જ તેને નાથી શકાય તેમ છે. અરજદારે જણાવ્યું હતું કે, AIથી તૈયાર કરાયેલું ટ્રાયલ કોર્ટનું એવું જજમેન્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું, જે હકીકતમાં અસ્તિત્વ જ ધરાવતું નહોતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:39 pm

વઢવાણમાં 2 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અપાઈ:રાજકોટ નાગરિક બેંક દ્વારા 'પરીક્ષા પર્વ' પહેલ

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આશરે 2000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલથી સુરેન્દ્રનગર જિલ્લામાં 'પરીક્ષા પર્વ' એક અનોખું 'પ્રકાશ પર્વ' બની ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખા દ્વારા પરીક્ષાના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન આ સરાહનીય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શાખા વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને શાખા અધિકારી શ્રી વિક્રમસિંહ ડોડીયાના આયોજનથી આ પહેલ સફળ બની. આ પહેલ અંતર્ગત વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગર વિસ્તારની વિવિધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી કીટનું વિતરણ કરાયું. આ કીટમાં વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી સામગ્રી આપવામાં આવી હતી, જે તેમને પરીક્ષા દરમિયાન મદદરૂપ થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાને તણાવમુક્ત તથા ઉત્સવમય બનાવવાનો છે. સ્થાનિક સ્તરે આ પહેલને ખૂબ સરાહના મળી રહી છે અને તેને શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અસવાર દશરથસિંહે રાજકોટ નાગરિક બેંક દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:29 pm

ગઢડામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયતની 10 બેઠકો માટે ઉમેદવારી, સત્તાવાર યાદી બાકી

ગઢડામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવારોએ આજે ઢોલ-નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કુલ ત્રણ જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે માંડવધાર, ગુંદાળા અને વાવડી જિલ્લા પંચાયત બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ પહોંચી ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત, સાત તાલુકા પંચાયત બેઠકો માટે પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા હજી સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, ટેલિફોનિક સૂચનાઓના આધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. ગઢડા તાલુકામાં કુલ ૭ જિલ્લા પંચાયત અને ૨૨ તાલુકા પંચાયત બેઠકો આવેલી છે. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભીએ જણાવ્યું હતું કે, બાકીના ઉમેદવારો આવતીકાલે પોતાના ફોર્મ ભરશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:28 pm

વાપી મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-3 અને વોર્ડ-6માં મુસ્લિમ પુરુષ-મહિલા ઉમેદવારને ટિકિટ આપી

વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. વોર્ડ-3 અને વોર્ડ-6માં ભાજપે મુસ્લિમ પુરુષ અને મુસ્લિમ મહિલાને ટિકિટ આપી છે. વોર્ડ-3માં સમસુઉદ્દીન નુરૂદ્દીન ચૌધરી અને વોર્ડ-6માં તસ્લીમ સુલતાન બાબુલને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા વાપીમાં પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન કરવામાં આવ્યાં બાદ આ સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:26 pm

સુરેન્દ્રનગર ભાજપ દ્વારા ઉમેદવારો સાથે બેઠક યોજાઈ:ચૂંટણીલક્ષી આયોજન અને માર્ગદર્શન અપાયું

આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો સાથે એક આયોજનબદ્ધ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને ઉમેદવારો વચ્ચે ચૂંટણીલક્ષી તૈયારીઓ, પ્રચારની દિશા, બૂથ સ્તરની કામગીરી અને મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યમાં સંકલન અને સમયબદ્ધ આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ બેઠક ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, આગેવાન રાકેશભાઈ ખાંડલા, વાય.બી. રાણા, ભાસ્કરભાઈ દવે, દીપસંગ ડોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના વિચારો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવા માટે મહાનગરપાલિકાના ઉમેદવારોને સૂચનો આપવામાં આવ્યા. ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાનું પાલન, મતદારો સાથે સંવાદ જાળવવો અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ અપાઈ. બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રદેશ સ્તરના નેતાઓ ભાજપમાં જોડાયા હોવાની માહિતી પણ આપવામાં આવી, જેના કારણે સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં હલચલ જોવા મળી રહી છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્તરે સુમેળ સાધી આયોજનબદ્ધ રીતે ચૂંટણી કામગીરી આગળ વધારવાનો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:13 pm

બોટાદમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે કેમ્પ યોજાયો:શ્રી વરિયાદેવી મંદિરે સર્વરોગ નિદાન અને સારવાર અપાઈ

બોટાદ, 10 એપ્રિલ 2026: વિશ્વ હોમિયોપેથીક દિવસ અને પોષણ પખવાડિયા નિમિત્તે બોટાદના શ્રી વરિયાદેવી મંદિર, ચકલા ગેટ ખાતે સર્વરોગ હોમિયોપેથીક-આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ, સામાજિક અગ્રણી મયૂરસિંહ જશુભા ભાટીના સહયોગથી યોજાયો હતો.કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય હોમિયોપેથીક પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. આ પ્રસંગે પોષણયુક્ત આહાર, હોમિયોપેથી અને આયુર્વેદ પદ્ધતિ તેમજ તેની ઉપયોગીતા વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હોમિયોપેથી પ્રદર્શનનો લાભ લીધો હતો. કેમ્પમાં પોષણ પત્રિકા, યોગ બુક અને કેલેન્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને વરિયાદેવી મંદિર ટેમ્પલ બોર્ડના તમામ ટ્રસ્ટીઓ, પંકજભાઈ ઝાંઝરુકિયા, ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા, દિલીપભાઈ ભલગામીયા, પ્રકાશભાઈ ભીમાણી અને અન્ય અગ્રણી મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ નિઃશુલ્ક સારવાર કેમ્પમાં કુલ 715 વ્યક્તિઓએ લાભ લીધો હતો. જેમાં હોમિયોપેથીક-આયુર્વેદ સારવારના 290 લાભાર્થીઓ, યોગના 75 લાભાર્થીઓ, પોષણ માર્ગદર્શનના 120 લાભાર્થીઓ અને ચાર્ટ પ્રદર્શનના 230 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:10 pm

ધાર્મિક માલવીયાની 'સરપ્રાઈઝ' એક્ઝિટ:ફોર્મ ભર્યું છતાં ચૂંટણી નહીં લડે, ભાજપના આ માસ્ટર પ્લાનથી પાટીદાર મત વિસ્તારોમાં વિપક્ષો ક્લીન બોલ્ડ થશે?

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે પાટીદાર બહુલ વિસ્તારોના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. પાટીદાર સમાજના લોકપ્રિય યુવા નેતા અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત દાવેદાર ગણાતા ધાર્મિક માલવીયાએ આ વખતે ચૂંટણી ન લડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી ફોર્મ ભરીને શક્તિપ્રદર્શન કર્યા બાદ, અચાનક 8મી એપ્રિલે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, ભાજપના સૂત્રો અને સાથી નેતાઓના મતે આ એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કેમ પાછી પાની?ધાર્મિક માલવીયાએ પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. તેમણે નિરીક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો, જે દર્શાવતું હતું કે તેઓ મેદાનમાં ઉતરવા માટે મક્કમ છે. પરંતુ, પાર્ટીના હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ સ્થિતિ બદલાઈ છે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, ધાર્મિક માલવીયાને માત્ર એક વોર્ડ પૂરતા સીમિત રાખવાને બદલે સમગ્ર સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કારણોસર જ તેમણે 8 એપ્રિલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ઉમેદવારી પડતી મૂકી છે. વિધાનસભાની ચૂંટણી અને મોટી જવાબદારીના સંકેતભાજપના મોવડી મંડળ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે ધાર્મિક માલવીયાને આગામી સમયમાં કોઈ મોટી સંગઠનાત્મક અથવા રાજકીય જવાબદારી સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી તેમને અત્યારથી જ મોટા ફલક પર તૈયાર કરવા માંગે છે. સુરતના પાટીદાર ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપનું 'કમળ' વધુ જોરથી ખીલે તે માટે ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાની જોડીને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ બંને યુવા નેતાઓ હવે કોઈ એક વોર્ડમાં અટવાઈ રહેવાને બદલે શહેરના તમામ પ્રભાવી વોર્ડમાં પ્રચારની કમાન સંભાળશે. અલ્પેશ કથીરિયાએ વ્યૂહરચના પરથી ઊંચક્યો પડદોધાર્મિક માલવીયાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ધાર્મિકભાઈએ ગત અઠવાડિયે જ પ્રદેશના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ પોતાની અનિચ્છા વ્યક્ત કરી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત ચૂંટણી જીતવા કરતા પાર્ટીને મહત્તમ બેઠકો જીતાડવાનો છે. હાલમાં સુરતના 8થી 10 વોર્ડ એવા છે, જ્યાં પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી 18 આલમનો પ્રભાવ છે. આ તમામ વિસ્તારોમાં જઈને ઉમેદવારોને મજબૂત કરવા અને સુરત શહેરમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ધાર્મિકભાઈએ આ ત્યાગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, સેન્સ પ્રક્રિયા એ લોકશાહીનો ભાગ છે પણ પાર્ટીનું હિત સર્વોપરી છે. બૂથ લેવલનું આયોજન અને વિપક્ષ પર પ્રહારભાજપે આ વખતે ચૂંટણીમાં 'બૂથ જીતવા'નો લક્ષ્યાંક રાખ્યો છે. અલ્પેશ કથીરિયાના મતે આ કોઈ વ્યક્તિગત રણનીતિ નથી પણ ભારતીય જનતા પાર્ટીની એક સુવ્યવસ્થિત ફોજનું કામ છે. કાર્યકર્તાઓની મોટી ટીમ દરેક ઘર સુધી પહોંચશે. વોર્ડમાં થયેલા વિકાસકામોની યાદી લોકો સમક્ષ મુકશે અને આગામી પાંચ વર્ષના સંકલ્પો વિશે માહિતગાર કરશે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી વિપક્ષ માત્ર મતો મેળવવા માટે જનતાનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ કામગીરીના નામે શૂન્ય છે. લોકો હવે ગુમરાહ થવા માંગતા નથી અને એટલે જ ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. કેસરીયો લહેરાવવા માટે 'ટીમ વર્ક' પર ભારધાર્મિક માલવીયાનું ચૂંટણી મેદાનમાંથી ખસી જવું એ હકીકતમાં ભાજપની આક્રમક રણનીતિનો પુરાવો છે. પાર્ટી ઈચ્છે છે કે, લોકપ્રિય ચહેરાઓ માત્ર પોતાની બેઠક બચાવવામાં સમય ન બગાડે પરંતુ, આસપાસની અન્ય બેઠકો પર પણ જીત સુનિશ્ચિત કરે. ધાર્મિક માલવીયા હવે સ્ટાર પ્રચારક તરીકે ભૂમિકા ભજવશે, જેનો સીધો ફાયદો સુરતના અન્ય ઉમેદવારોને મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં વિપક્ષ મજબૂત દેખાય છે ત્યાં ધાર્મિકની લોકપ્રિયતા અને સંગઠન શક્તિ ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:02 pm

ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા:પાંડેસરાના બમરોલી રોડ પર વેસ્ટેજના જથ્થામાં ભીષણ આગ, દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં

સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી મિલન પોઇન્ટ રોડ પર આજે ખુલ્લામાં રાખેલા વેસ્ટેજના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ મટીરિયલને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યાઆગની આ ઘટનાને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ફાળ પડી હતી. વેસ્ટેજ મટીરિયલ હોવાથી જ્વાળાઓ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગી હતી. સુરત ફાયર વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથીસદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ ઓલવાયા બાદ ફાયર ફાઈટરો દ્વારા હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉનાળાના પ્રારંભે વધતા જતા આગના બનાવોને જોતા વેસ્ટેજ અને જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ બાબતે વધુ તકેદારી રાખવી જરૂરી બની છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:00 pm

બોટાદ AAP જિલ્લા પ્રમુખે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભર્યું:પરસોત્તમ રાઠોડે ભીમદાડ બેઠક પર ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક પર પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેમણે આ બેઠક પર વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઢડા મામલતદાર કચેરી ખાતે પરસોત્તમભાઈ રાઠોડે ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક માટે ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારોએ પણ તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ પ્રસંગે બોટાદ AAP પ્રમુખ અને ભીમદાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ભીમદાડ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે સારો માહોલ છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકો ભાજપથી કંટાળી ગયા છે. તેથી, વિસ્તારના મતદારો, યુવાનો અને શિક્ષિત લોકો ચોક્કસપણે AAP ને પસંદ કરશે, જેના કારણે તેમની જીત નિશ્ચિત છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:59 pm

'બીજા તળાવે આવ્યા તો જીવતા પાછા નહીં જાઓ':મોટપમાં તળાવના ખોદકામની માપણી કરતા ઉપસરપંચ પર હુમલો, કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો સામે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ

મહેસાણાના બેચરાજીના મોટપ ગામે તળાવના ખોદકામની માપણી કરવા ગયેલા ગામના ઉપસરપંચ અને અન્ય ગ્રામજનો પર હુમલાનો પ્રયાસ કરી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોઢેરા પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાવના ખોદકામની માપણી સમયે હુમલોમોટપ ગામના ઉપસરપંચ સુરેશ પટેલ ગત સાંજે ગામના અન્ય સાક્ષીઓ સાથે સર્વે નંબર 776માં આવેલા ગામ તળાવના ખોદકામ અને માટીકામની માપણી કરવા માટે ગયા હતા. આ કામનો કોન્ટ્રાક્ટ કાલરીના ધરમસિંહ ઉર્ફે ધમો સોલંકી મળેલો હતો. માપણી ચાલી રહી હતી તે દરમિયાન કોન્ટ્રાક્ટર ધરમસિંહ સોલંકી તેનો મિત્ર ગોસ્વામી અને અન્ય 8થી 10 માણસો બે કાળા રંગની સ્કોર્પિયો ગાડીઓ લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપીઓએ ઉપસરપંચનો કોલર પકડી ઝપાઝપી કરી હતી અને ખોદકામના ફોટા પાડીને વોટ્સએપ ગ્રુપમાં કેમ મૂક્યા છે? તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. જ્યારે અન્ય ગ્રામજનો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તમામ સામે બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપી ધરમસિંહ સોલંકીએ પોતાની ગાડીમાંથી કુહાડી કાઢી ઉપસરપંચ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી બચાવ કર્યો હતો. જતા-જતા આરોપીઓએ જાહેરમાં એવી ધમકી પણ આપી હતી કે હજુ બીજું તળાવ પણ ખોદવાનું છે.જો ત્યાં આવ્યા છો તો જીવતા પાછા નહીં જાઓ. આ ઘટના બાદ ઉપસરપંચ સહિતના ગ્રામજનોએ એકઠા થઈ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:40 pm

નવસારી મહાનગરપાલિકા વોર્ડ-4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુસ્લિમ મતદારોવાળા ભાજપના ગઢમાં જળબંબાકાર અને સ્લમ રિડેવલપમેન્ટનો ગજગ્રાહ, શું મુસ્લિમ મતો ફરી ખીલવશે 'કમળ'?

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. શહેરના તમામ વોર્ડમાં સમીકરણો બદલાઈ રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 4 અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મુસ્લિમ મતદારોના પ્રભુત્વ છતાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં આ વખતે જળબંબાકાર, ટ્રાફિક અને સ્લમ રિડેવલપમેન્ટ જેવા સ્થાનિક પ્રશ્નો સત્તાધારી પક્ષ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. મુસ્લિમ અને પારસી મતદારો નિર્ણાયકવોર્ડ નંબર 4 ની ભૌગોલિક અને સામાજિક રચના પર નજર કરીએ તો અહીં કુલ 12,859 મતદારો નોંધાયેલા છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 6,486 અને પુરુષ મતદારોની સંખ્યા 6,373 છે. મુસ્લિમ મતો: અંદાજે 5,200, કુલ મતોના 40%પારસી મતો: અંદાજે 250, જે નિર્ણાયક સાબિત થઈ શકે છે અહીં મેમણ જ્ઞાતિના આશરે 850 મતો પરંપરાગત રીતે ભાજપની જીતમાં મોટી ભૂમિકા ભજવતા આવ્યા છે. વિકાસના દાવા વિરુદ્ધ પાયાની સમસ્યાઓઆ વોર્ડમાં વિકાસના કામો થયા હોવાના દાવા સામે સ્થાનિકોની નારાજગી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. 1.જળબંબાકારની કાયમી સમસ્યા: સ્થાનિક અગ્રણી ધર્મેશભાઈ માલીના જણાવ્યા મુજબ, સમગ્ર શહેરનું પાણી વોર્ડ-4 માં એકઠું થાય છે. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ઘરોમાં પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થાય છે. વિપક્ષનો આરોપ છે કે 30 વર્ષના શાસન છતાં ડ્રેનેજની કોઈ કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. 2. સ્લમ રિડેવલપમેન્ટ અને આવાસ: વોર્ડમાં સ્લમ વિસ્તાર વધુ હોવાથી નવી ઇમારતો બનાવવાની યોજના છે. જોકે, સ્થાનિક રહીશોની સ્પષ્ટ માંગ છે કે તેમને વિસ્થાપિત કરતા પહેલા યોગ્ય વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. 3. પાણી અને ટ્રાફિકની સમસ્યા: સ્થાનિક રહેવાસી સોહેલ ખાન જણાવે છે કે, વિસ્તારમાં ટ્રાફિક અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા વિકરાળ છે. ભૂતકાળમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી જવાની ગંભીર ફરિયાદો પણ ઉઠી હતી. ભાજપના કાર્યકર આશિફ બરોડાવાળા આક્ષેપોને નકારતા જણાવે છે કે, આ વોર્ડમાં રેકોર્ડબ્રેક ₹1.12 કરોડના ખર્ચે રોડ અને ડ્રેનેજ લાઈનના કામો થયા છે. પાણી ભરાવાની સમસ્યા માટે ડેમ પ્રોજેક્ટ કાર્યરત છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. બીજી તરફ, રહીશો ઈચ્છી રહ્યા છે કે આ વખતે પક્ષ ગમે તે હોય, પણ ઉમેદવાર એવો હોય જે જમીની સ્તર પર જોડાઈને કામ કરે. ગ્રીન એવન્યુ, ઝવેરી સડક, ખાટકીવાડ અને શંખેશ્વર પાર્ક જેવા વિસ્તારોમાં લોકો પરિવર્તન કે સાતત્ય વચ્ચે મુંઝવણમાં છે. વોર્ડ નંબર 4 માં મુસ્લિમ મતદારો ભાજપ માટે હંમેશા 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થયા છે. પરંતુ, શું ₹1.12 કરોડના વિકાસના દાવા સામે ટ્રાફિક અને જળબંબાકારની પીડા ભારે પડશે? શું લઘુમતી સમુદાય ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકશે કે પછી કોઈ 'સનિષ્ઠ' નવા ચહેરાને તક આપશે? તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:38 pm

ભાજપનો ગાંધીનગર સર કરવાનો ગજગ્રાહ:પંચાયત અને નગરપાલિકાના જંગ માટે ઉમેદવારોના નામ જાહેર, કલોલ-દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને મેદાને ઉતાર્યા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે રણનીતિના પ્રથમ તબક્કાની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલા મંથન બાદ ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકા માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપ વિકાસની રાજનીતિની સાથે જ્ઞાતિગત મજબૂતી સાથે મેદાનમાં ઉતર્યું છે. ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યોગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે જાહેર કરાયેલા નામોમાં ઠાકોર અને પટેલ સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. અડાલજ બેઠક પરથી ચેતનાબેન ઠાકોર અને લોદરાથી કલ્પેશ પટેલ જેવા નામો સાથે ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્ત્રી અનામત બેઠકો પર પક્ષે નવા અને સક્રિય મહિલા ચહેરાઓને તક આપીને મહિલા સશક્તિકરણનો કાર્ડ પણ ખેલ્યો છે. ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથીજ્યારે ​તાલુકા પંચાયતોના સ્તરે જોઈએ તો કલોલની 22, માણસાની 26 અને દહેગામની 28 બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક સ્તરે પક્ષનો પ્રભાવ જાળવી રાખવા પર ભાર મૂકાયો છે. માણસામાં જે રીતે ચૌધરી અને ચાવડા જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે જોતા ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. એવી જ રીતે દહેગામ તાલુકા પંચાયતમાં ઝાલા અને ચૌહાણ ઉમેદવારોની મોટી સંખ્યા પક્ષની જૂની અને ભરોસાપાત્ર રણનીતિનો હિસ્સો હોવાનું જણાય છે. વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવીએ જ રીતે શહેરી વિસ્તારોની વાત કરીએ તો કલોલ નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો અને દહેગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કલોલમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ પક્ષે ઉમેદવારો ઉભા રાખીને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જેની ઝલક વોર્ડ નંબર 2માં જોવા મળે છે. દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને સ્થાન આપીને ભાજપે વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવી છે. ભાજપે આ વખતે કોઈ મોટા પ્રયોગો કરવાને બદલે પાયાના કાર્યકરો અને જ્ઞાતિના પ્રભાવશાળી ચહેરાઓ પર જ વિશ્વાસ મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ મજબૂત ફિલ્ડિંગ સામે કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે અને જનતા કોના પર કળશ ઢોળે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:34 pm

સુરેન્દ્રનગર યંગ્સ ક્લબમાં આગ:મલાર ચોક નજીક ક્લબને મોટું નુકસાન, ફાયરે કાબૂ મેળવ્યો

સુરેન્દ્રનગરના મલાર ચોક નજીક આવેલી યંગ્સ ક્લબના કમ્પાઉન્ડમાં આજે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં ક્લબને મોટું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી તે સમયે ક્લબમાં ટેબલ ટેનિસ રમી રહેલા ખેલાડીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ક્લબ બિલ્ડિંગની બારીઓ પણ સળગી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ક્લબના સભ્યોએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા, ફાયર વિભાગની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. યંગ્સ ક્લબમાં પાંચથી વધુ ટેબલ ટેનિસ ટેબલ આવેલા છે, જ્યાં 25થી વધુ ખેલાડીઓ નિયમિત રમવા માટે આવે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:30 pm

'ઘરમાં રહેવું હોય તો પતિ કહે તેમ જ કરવું પડશે':મુંબઈના સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા પિયર ભેગી થઈ, પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

મુંબઈમાં રહેતા પતિ અને સાસરિયાંઓ દ્વારા ગાંધીનગરના સેક્ટર-22માં પિયરમાં 36 વર્ષીય પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી દેવામાં આવતા મહિલા પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પતિએ ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધુંહાલમાં ગાંધીનગર પિયરમાં રહેતી પરિણીતાએ પતિ અજીત પરદેશી, સાસુ અને સસરા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન 25 જાન્યુઆરી 2014ના રોજ હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતનું એક અઠવાડિયું સુખદ રહ્યું હતું પરંતુ, ત્યારબાદ પતિ અજીત દ્વારા નાની-નાની બાબતોમાં બીભત્સ ગાળો બોલી અપમાનિત કરવાનું શરૂ કરાયું હતું. બાદમાં ફેબ્રુઆરી, 2014માં પરિણીતા મુંબઈ ખાતે સાસરે રહેવા ગઈ ત્યારે પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી મોબાઈલ ફોન ચેક કરવા જેવી બાબતોથી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધું હતું. પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરીઆ અંગે જ્યારે પોતાના પર થતા અત્યાચાર અંગે સાસુ-સસરાને જાણ કરી ત્યારે મદદ મળવાને બદલે તેમને વધુ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એ વખતે સાસુએ કહ્યું હતું કે, આ ઘરમાં રહેવું હોય તો તારો પતિ કહે તેટલું કરવાનું અને તે જે કહે તે સહન કરવાનું. આ દરમિયાન પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરી હતી. બાદમાં દંપતી જ્યારે કેનેડા સ્થાયી થયું હતું ત્યારે પણ પતિની ક્રૂરતામાં કોઈ ઘટાડો થયો નહોતો. આ દરમિયાન તેણીને જાણ થઈ હતી કે, પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે અને તે તેને આર્થિક મદદ પણ કરે છે. હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ, તને જાનથી મારી નાખીશઆ બાબતે માથાકૂટ થતા પતિએ ગર્ભિત ધમકી આપેલી કે, જો તું કોઈને કહીશ તો હું તારા નામની સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લઈશ. જેના લીધે પરિણીતાએ ચુપકીદી સાધી લીધી હતી. જોકે પતિ અને સાસરિયાંનો ત્રાસ અસહ્ય બનતા ખંજનબેન છેલ્લા 10 માસથી તેમના બે બાળકો સાથે ગાંધીનગર પિયરમાં રહે છે. ત્યારે જાન્યુઆરી 2026માં પતિએ ફોન પર ધમકી આપી હતી કે, હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ અને જો તું બાળકો નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. આખરે કંટાળીને પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:29 pm

રાજ્યમાં ગરમીનું જોર વધશે, 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે:હવામાનની આગાહી મુજબ, દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ગરમીનું જોર વધશે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીમાં વધારો થશે. દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન વધશે. ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. જોકે આજથી જ રાજ્યમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો અતિશય વધી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:28 pm

મનપાના ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ:સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ફોન આવ્યો

ગુજરાતની મહાનગરપાલિકા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની આજે 10 એપ્રિલના રોજ જાહેરાત કરવામાં આવી રહી છે. સવારથી અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઇ રહી હતી ત્યારે બપોરે 2:30 વાગ્યા બાદ અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. દેવાંગ દાણીને ટેલિફોનિક જાણ કરી દેવાઈ AMC સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. એટલે કે દરેક ઉમેદવારોને સૌથી પહેલા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.જો કે ભાજપની સત્તાવાર યાદી સાંજે જાહેર કરવામાં આવશે. જોધપુર, બોડકદેવ વોર્ડના ઉમેદવારોને ફોન આવ્યા આજે બપોરે 2.30 વાગ્યા બાદ વેજલપુર વિધાનસભામાં આવતા તમામ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. સૌપ્રથમ જોધપુર વોર્ડ, બોડકદેવ વોર્ડ, સરખેજ વોર્ડ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી દેવામાં આવી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને પણ બોડકદેવમાંથી ઉમેદવાર તરીકે ફોન કરીને જાણ કરવામાં આવી છે. જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને ઉમેદવારી માટેનો ફોન આવી ગયો છે. જ્યારે સરખેજ વોર્ડમાં એક પણ કોર્પોરેટરને ફરીથી ટિકિટ મળી શકે તેમ નથી. જ્યારે વેજલપુર બોર્ડમાં રાજેશ ઠાકોર અને પારુલ દવેને ફોન કરીને ઉમેદવાર તરીકેની જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:28 pm

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી સમયે ભાજપમાં ભડકો:પૂર્વ નગરપાલિકા પ્રમુખ લલિત કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપના સમીકરણો બગડવાની શક્યતા

મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરીયાએ ભાજપ સામે બગાવત કરી વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેમણે આ આક્રમક નિર્ણય લીધો હોવાનું મનાય છે. ટિકિટ ન મળતા પક્ષ સામે મોરચો મળતી વિગતો મુજબ, લલિત કામરીયાએ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી. જોકે, પક્ષે તેમને ટિકિટ ન આપતા તેમણે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેઓ વર્ષ 2013થી 2015 દરમિયાન મોરબી નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમની આ ઉમેદવારીથી સ્થાનિક સ્તરે ભાજપના વોટ બેંકમાં ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે. વોર્ડ નંબર 8માં જંગ જામશે વોર્ડ નંબર 8 માં લલિત કામરીયાની વ્યક્તિગત પકડ મજબૂત માનવામાં આવે છે. પૂર્વ પ્રમુખ તરીકેના તેમના અનુભવ અને લોકસંપર્કને જોતા આ બેઠક પરની ચૂંટણી હવે ત્રિપાંખિયા જંગ જેવી રસપ્રદ બની રહેશે. તેમની આ બગાવત માત્ર ભાજપ જ નહીં, પરંતુ અન્ય વિરોધ પક્ષોના ગણિત પણ બગાડી શકે છે. ઉમેદવાર: લલિત કામરીયા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) વિસ્તાર: વોર્ડ નંબર 8 અગાઉનો કાર્યકાળ: 2013 થી 2015 સ્થિતિ: ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી આ અપક્ષ ઉમેદવારીના પગલે હવે મોરબીના રાજકારણમાં મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે. પક્ષના નિષ્ઠાવાન ગણાતા કાર્યકરોમાં પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:28 pm

દહેજમાં લઘુ ઉદ્યોગ ભારતીનો સ્નેહમિલન સમારોહ યોજાયો:MSME એકમોની સમસ્યાઓ અને વિકાસ પર ચર્ચા, ટેક્નોલોજી અપનાવવા અને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહન

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત DIA ભવન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી (દહેજ ઈકાઈ) દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના ઈશ્વર પટેલ તેમજ અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ અને ગુજરાત-રાજસ્થાનના પ્રભારી બળદેવ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજી પરમાર, DIA પ્રમુખ ડો. સુનિલ ભટ્ટ, બળદેવ આહિર, દહેજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા અને દીપક પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો (MSME) ને નડતી વિવિધ સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ ઉદ્યોગકારોને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મંચ ઉદ્યોગકારો માટે પરસ્પર વિચારોના આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટે મહત્વનું માધ્યમ બન્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સહભાગીઓએ ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:16 pm

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસના ઉમેદવારો ઢોલ-નગારા સાથે ઘોડા પર સવાર થઈને તો 'આપ'ના ઉમેદવારોએ સાદગીપૂર્વક રીતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના શ્રીગણેશ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી રહ્યા છે. આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.ચૂંટણીના જંગની સત્તાવાર શરૂઆત થતા જ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર રણજીત મુંધવા આજે પરંપરાગત શૈલીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ચૂંટણીના ઢોલ-નગારાના ગડગડાટ સાથે તેઓ ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના અન્ય ઉમેદવારોએ પણ આ મિશનમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નંબર 8ની જનતાની પાયાની સમસ્યાઓને વાચા આપવા માટે રણમેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના શાસનથી ત્રસ્ત થયેલા લોકોને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોર્પોરેશનના બાળકો માટે પ્રાઈવેટ જેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવવામાં આવશે. ઉપરાંત જનતાના આરોગ્યને પ્રાધાન્ય આપીને નાના ક્લિનિકો સંપૂર્ણપણે ફ્રી કરી આપવાનું વચન પણ તેમણે આપ્યું હતું. રોડ-રસ્તા અને અન્ય માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાની સાથે જનતાની વચ્ચે રહીને તમામ પ્રશ્નોના નિકાલની ખાતરી તેમણે આપી હતી. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ઉમેદવાર મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે જનતાના પાયાના પ્રશ્નો અને પાયાની સવલતો પૂરી કરવા માટે તેઓ કટિબદ્ધ છે. છેલ્લા સમયમાં કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે આવ્યા છે અને તેના કારણે જે આમ જનતાને ભોગ બનવું પડ્યું છે, તે પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા જવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી તેમના માટે એક યુદ્ધ સમાન છે. જે રીતે કોર્પોરેશનમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે તેની સામે લડવા માટે યુદ્ધના મેદાનની જેમ જ રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને લોકોના અધિકારો માટે તેઓ ઘોડા સાથે ચૂંટણીના જંગમાં જોડાયા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કમર કસી છે. વોર્ડ નંબર 4 માંથી ગુજરાત પ્રવક્તા અને વિધાનસભા 68 ના અધ્યક્ષ રાહુલ ભુવા દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. રાહુલ ભુવાએ કોઈપણ પ્રકારના ભપકા વિના અત્યંત સાદગીપૂર્વક પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. તેમની સાથે આ જ વોર્ડમાંથી હાર્દિક રાબડિયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારીયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમણે ઉમેદવારોના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ભુવાએ ફોર્મ ભર્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી જનસેવાના કાર્યો સાથે જોડાયેલા છે અને વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે મતદારોને પારદર્શક અને જવાબદાર શાસન આપવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટી આ વખતે સ્વચ્છ રાજકારણ અને વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે. રાજકોટમાં એક તરફ ઢોલ-નગારા અને વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવવાની પરંપરા જોવા મળી, તો બીજી તરફ સાદગી સાથે જનસંપર્ક પર ભાર મૂકતા ઉમેદવારો પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચશે તેવું જણાઈ રહ્યું છે. તમામ પક્ષો અત્યારે પોતપોતાના મજબૂત ગઢ સાચવવા અને નવા વિસ્તારોમાં પગપેસારો કરવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:08 pm

નડિયાદ મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર:ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, 26 એપ્રિલે મતદાન, 28મીએ મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:02 pm

ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા સહિતની 8 બેઠક પર પક્ષના હાઈકમાન્ડની સૂચના બાદ દાવેદારી રજૂ કરી

પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના હાઈકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ આ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ 8 બેઠકોમાં નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા, જૂની ધરી, ધાણિત્રા અને કાકણપુરનો સમાવેશ થાય છે. પક્ષ તરફથી નામો નક્કી થયા બાદ, તમામ ઉમેદવારોએ ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:02 pm

13 વર્ષથી નાસતો ફરતો આરોપી કચ્છમાંથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે રીઢા આરોપીને દબોચી લીધો

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ મહાનિર્દેશક દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'મેગા ડ્રાઈવ' અંતર્ગત પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. પેરોલ ફ્લો સ્ક્વોડે 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જેસાભાઈ ઉર્ફે જયેશભાઈ રાધાભાઈ રબારી વિરુદ્ધ વર્ષ 2013માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી (IPC કલમ 406, 420)નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે મુખ્ય આરોપી હતો અને છેલ્લા 13 વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ IG વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના મુજબ, પેરોલ ફ્લો સ્ક્વોડના PSI બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ASI હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી જેસાભાઈ રબારીને કસ્ટડીમાં લીધો હતો. પંચમહાલ પોલીસે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 13 વર્ષ જૂના વણઉકેલાયેલા ગુનાના આરોપીને પકડવા બદલ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:58 pm

જૂનાગઢ મનપા સામાન્ય સભા::​વિપક્ષનો રોડ,ઓડિટ અને વીમા મુદ્દે હંગામો,કોર્પોરેટર પ્રવીણ વાઘેલાના વર્તન સામે વિપક્ષનો વિરોધ, જનતા માટે અકસ્માત વીમો ઉતારવા લલિત પરસાણાની માંગ

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસકાર્યોની સમીક્ષા અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાઓને કરવામાં આવી હતી.સભામાં શહેરના વર્ષો જૂના શોપિંગ સેન્ટરના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી આગામી બે માસમાં કબજો આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામો અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ​બીજી તરફ, વહીવટી પારદર્શિતાના મુદ્દે હિસાબોમાં જોવા મળતી વિસંગતતા અને પેન્ડિંગ ઓડિટ બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા . તેમજ ચોમાસા પૂર્વેની તૈયારીઓ જેવી કે વોકળા સફાઈ અને ઝર્ઝરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જોકે ચર્ચા દરમિયાન પક્ષ વિપક્ષ સભ્યો વચ્ચેના વાકયુદ્ધને કારણે બોર્ડની ગરિમા જાળવવા બાબતે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું.બોર્ડમાં શહેરના વિકાસકામો, ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિપક્ષ દ્વારા જનતાની સુરક્ષા માટે મુકવામાં આવેલી અકસ્માત વીમાની દરખાસ્તને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ​બોર્ડની ગરિમા અને કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો મુદ્દો સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રવીણભાઈ વાઘેલા દરેક સામાન્ય સભામાં બોર્ડની ગરિમા જાળવતા નથી અને અધ્યક્ષની મંજૂરી વગર વારંવાર વચ્ચે બોલીને વિક્ષેપ પાડે છે. વિપક્ષે જણાવ્યું કે જ્યારે જનહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આવી દખલગીરીથી મૂળ મુદ્દાઓ ભટકી જાય છે. બીજી તરફ, શાસક પક્ષના નેતા મનન અભાણીએ બચાવ કરતા કહ્યું હતું કે, પ્રવીણભાઈએ તેમના વોર્ડની સાચી માહિતી આપવા અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી વિગતો રોકવા માટે મધ્યસ્થી કરી હતી. ​જનતા માટે સામૂહિક અકસ્માત વીમાની માંગ વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ જૂનાગઢની જનતા માટે એક મહત્વની માંગણી કરતા જણાવ્યું કે શહેરમાં ખરાબ રસ્તા, ખુલ્લા ખાડા અને ઝર્ઝરિત ઇમારતોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જે નાગરિકો નિયમિત ટેક્સ ભરે છે, તેમની સુરક્ષાની જવાબદારી મહાનગરપાલિકાની છે. તેમણે દરખાસ્ત મૂકી હતી કે મનપાની બેદરકારીને કારણે થતા અકસ્માતોમાં લોકોને આર્થિક વળતર મળી રહે તે માટે મનપાએ 'બલ્ક અકસ્માત વીમો' ઉતારવો જોઈએ. આ પ્રકારના વીમાથી મોંઘવારીના સમયમાં ઈજાગ્રસ્ત નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે. ​જોષીપુરા શોપિંગ સેન્ટરનો ઉકેલ અને રોડ-રસ્તાની કામગીરી શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે આ સભામાં જોષીપુરા માઈક્રો શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી દેવામાં આવ્યો છે અને આગામી બે માસમાં વેપારીઓને દુકાનનો કબજો મળી જશે. શહેરમાં ચાલતી રોડ-રસ્તાની કામગીરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં નવા રસ્તા બનાવવાનું શરૂ કરી દેવાયું છે. વિપક્ષ દ્વારા માત્ર ભાજપ કાર્યાલય પાસે જ રોડ બને છે તેવા આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું કે જોષીપુરાથી શાંતેશ્વર સુધીનો આખો મુખ્ય માર્ગ બની રહ્યો છે, જેમાં કોઈ રાજકીય પક્ષપાત રાખવામાં આવ્યો નથી. ​ઓડિટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા મનપાના હિસાબોમાં મોટી વિસંગતતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. લલિતભાઈ પરસાણાએ જણાવ્યું કે હાઉસ ટેક્સ અને એકાઉન્ટ શાખાના આંકડાઓમાં 20 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી મનપાનું ઓડિટ થયું નથી, જેને કારણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ભીતિ છે. આ બાબતે નાણા વિભાગને પણ પત્ર લખીને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ વાઉચર અને રકમનો મેળ ન ખાતો હોવો તે ગંભીર બાબત છે. ​ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ઝર્ઝરિત ઇમારતો આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વિપક્ષે આગ્રહ કર્યો હતો. કાળવા સહિતના મુખ્ય વોકડાઓની સફાઈ અને અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ હતી. તાજેતરમાં કડિયાવાડ વિસ્તારમાં મકાનનો રવેશ પડતા મહિલાને થયેલી ઈજા અંગે મનપાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આવી જોખમી ઇમારતોના માલિકોને 5 દિવસની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે અને જો મરામત નહીં કરવામાં આવે તો મનપા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી જોખમી ભાગ ઉતારી લેવામાં આવશે. જૂનાગઢ મનપાનું આ જનરલ બોર્ડ વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અત્યંત તોફાની રહ્યું હતું. શાસકોએ વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાનો દાવો કર્યો હતો, જ્યારે વિપક્ષે જનતાની સુરક્ષા અને હિસાબી પારદર્શિતાના મુદ્દે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:54 pm

રાજકોટના શખસે સોલર સિસ્ટમના નામે છેતરપિંડી:પાટણના નિવૃત્ત વૃદ્ધ સાથે એક લાખની ઠગાઈ આચરી, 10 વર્ષ જૂના મિત્રે વિશ્વાસઘાત કરી પૈસા પડાવ્યા

પાટણ શહેરમાં સોલાર સિસ્ટમ લગાડવાના બહાને એક નિવૃત્ત વૃદ્ધ સાથે 1,00,000 રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10 વર્ષ જૂના મિત્રએ જ વિશ્વાસઘાત કરી નાણાં પડાવી લીધા બાદ કામ ન કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યોફરિયાદની વિગત મુજબ, પાટણના કેનાલ રોડ પર આવેલી શિવવિહાર સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ભરત વાણીયાની મિત્રતા અંદાજે 10 વર્ષ પહેલાં રાજકોટના (હાલ ગોંડલ) લાલજી રણછોડ સિંધવ સાથે થઈ હતી. લાલજી અવારનવાર ભરતના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેણે પોતે સોલારનો વ્યવસાય કરતો હોવાનું જણાવી ભરતના બે મકાનો પર સોલાર સિસ્ટમ ફિટ કરવા માટે સમજાવ્યા હતા. બે હપ્તામાં 1 લાખ પડાવ્યામિત્ર પર વિશ્વાસ રાખી ભરતે સોલાર ફિટ કરાવવાની સહમતી આપી હતી. લાલજીના કહેવા મુજબ, ભરતે 7 ફેબ્રુઆરી 2022ના રોજ પુત્ર નિરવના ખાતામાંથી 50,000 અને 28 ફેબ્રુઆરી 2022ના રોજ પોતાના ખાતામાંથી બીજા 50,000 મળી કુલ 1,00,000 રૂપિયા જયેશ અશોક નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર ટ્રાન્સફર કર્યા હતા. સહી વગરનો ચેક આપી છેતરપિંડી કરીનાણાં મેળવ્યા બાદ લાલજીએ સોલાર લગાડવા બાબતે બહાનાબાજી શરૂ કરી હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. લાંબી ઉઘરાણી બાદ લાલજીએ ભરતના પત્નીને બેન્ક ઓફ બરોડાનો 50,000 રૂપિયાનો એક ચેક આપ્યો હતો. જોકે, આ ચેકમાં લાલજીએ સહી કરી ન હોવાથી તે બેન્કમાં જમા કરાવી શકાય તેમ નહોતો. પોલીસ કાર્યવાહીપોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ભરત વાણીયાએ પુત્ર સાથે પોલીસ સ્ટેશન જઈ લાલજી રણછોડ સિંધવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:42 pm

રાજ્યપાલની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય યુનિ.નો પ્રથમ પદવીદાન સમારોહ:151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ, કુલ 54346ને પ્રમાણપત્ર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો. આ સમારોહમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટીના કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા, પરંતુ રાજ્યપાલ હવે તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ગમે તેટલા મોટા બને તો પણ માનવતા અને ઇન્સાનિયત ન છોડવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા અને ગુરુજનોને દેવતા સમાન સન્માન આપવા પણ ટકોર કરી હતી. તેમણે વિદ્યાનો પ્રચાર કરીને દુનિયાનું ભલું કરવા અને કાર્યક્ષેત્રમાં એક સારો માણસ બનીને જવાની પ્રેરણા આપી હતી, જેથી તેમની પ્રગતિ સાર્થક બને.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:34 pm

પારડીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:નાણામંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહ્યાં, વિકાસની યાત્રા આગળ ધપાવવા આહ્વાન કરાયું

વલસાડ જિલ્લાના પારડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા અને વર્ષ 2001થી શરૂ થયેલી વિકાસની રાજનીતિને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉમેદવારી પત્રો ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહ પૂરવાનો હતો. ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ એક રીતે 'મિની વિધાનસભા' સમાન છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફી માહોલ છે અને પારડીમાં પણ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2001થી જે વિકાસની યાત્રા શરૂ થઈ છે, તેને આ ચૂંટણીઓ વધુ વેગ આપશે. પરિયા, સુકેશ, ટુકવાડા અને ઉમરસાડી જેવી વિવિધ બેઠકો પરથી ભાજપના ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા હતા. કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણી સરકાર હોય, ત્યારે વિકાસના કામો અને લોકોની સુખાકારીના કાર્યો વધુ ઝડપથી થઈ શકે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો કેસરીયા ખેસ ધારણ કરી ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે કનુભાઈ દેસાઈના આશીર્વાદ લીધા હતા અને 'ભારત માતા કી જય'ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:20 pm

પાલનપુરના પૂર્વ ભાજપ નેતા સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી:ટિકિટ ન મળતા વોર્ડ 2ના પૂર્વ પાણી પુરવઠા ચેરમેન પાર્ટીથી નારાજ, કહ્યું- MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ

બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 2 ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ આ ઘટના બની છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાગર માળીના પિતા પ્રતાપ માળી પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં માળી પરિવારનો દબદબો રહ્યો છે. સાગર માળી અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. અપક્ષ ઉમેદવારી નોંધાવવા અંગે સાગર માળીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને તેમને ટિકિટ આપવાની ના પાડી હતી. લોકોની લાગણી અને આગ્રહને માન આપીને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને તેઓ 100 ટકા જીતની આશા રાખે છે. સાગર માળીએ વધુમાં કહ્યું કે પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જો આ નિયમ ફક્ત કોર્પોરેટરો પૂરતો હોય, તો તે MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે જો આ નિયમ સર્વે માટે હોય, તો તેઓ આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:16 pm

'ગુજસીટોક'ના આરોપીએ વોર્ડ 12માં ફોર્મ ભર્યુ:જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્તાફ ખફી પહોંચ્યો, કોંગ્રેસનો ઉમેદવાર

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ 12 માં કોંગ્રેસના ઉમેદવાર અને ગુજસીટોક (GUJCTOC) ના આરોપી અલ્તાફ ખફીએ આજે પોલીસ જાપતા વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ સુરક્ષા વચ્ચે નામાંકનજામનગરના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે કોઈ ઉમેદવાર ચુસ્ત પોલીસ સુરક્ષા સાથે ફોર્મ ભરવા પહોંચ્યો હોય. અલ્તાફ ખફી હાલ ગુજસીટોક કેસમાં જેલમાં હોવાથી તેને પોલીસ પ્રોટેક્શન હેઠળ લાવવામાં આવ્યો હતો. ગંભીર ગુનાના આરોપી હોવા છતાં ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા આ બેઠક આકર્ષણનું કેન્દ્ર બની છે. વોર્ડ 12 ની પેનલ અને શક્તિપ્રદર્શનઅલ્તાફ ખફીની સાથે કોંગ્રેસની પેનલના અન્ય ઉમેદવારોએ પણ આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભર્યા હતા. જેમાં 3 ઉમેદવારોનો સમાવેશ થાય છે: આ તમામ ઉમેદવારોએ આજે ફોર્મ ભરીને પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું હતું. રાજકીય વિશ્લેષણવોર્ડ 12 માં ગુજસીટોકના આરોપીની એન્ટ્રીથી ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જેલમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારને જનતા સ્વીકારશે કે કેમ, તે હવે જોવાનું રહેશે. આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર વધુ તેજ બને તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:10 pm

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી:એકનું ઘટના સ્થળે જ મોત, એકને ઈજા; ફાયર અને પોલીસ ઘટના સ્થળે, બસ વ્યવહાર ખોરવાયો

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. બસ વ્યવહાર ખોરવાયો છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:00 pm

5 વર્ષમાં એકપણ પ્રશ્ન ન પૂછના ફરી ટિકિટ મેળવવા લાઈનમાં:સુરત મનપામાં ભાજપના કોર્પોરેટરોનો મૌન યજ્ઞ, જાણો કોણ છે 17 એ જેને એકપણ સવાલ ના થયા

સુરત શહેરની રાજનીતિમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે શાસક પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપના 17 જેટલા કોર્પોરેટરોએ સામાન્ય સભામાં એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નથી, અને તેમ છતાં તેઓ ફરીથી ટિકિટ મેળવવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે. સભામાં એક પણ પ્રશ્ન ના પૂછનાર ફરી ટિકિટ મેળવવા ઉત્સુક સુરત મનપામાં 2021થી 2026ની ટર્મ દરમિયાન ભાજપના 93 અને AAPના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. જનતાએ આશા રાખી હતી કે તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાની સામાન્ય સભામાં લોકોના પ્રશ્નો, વિસ્તારની સમસ્યાઓ અને શહેરના વિકાસના મુદ્દે અવાજ ઉઠાવશે. પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ નીકળી છે. પરંતુ ભાજપના 17 નગરસેવકો એવા છે જેઓ પાંચ વર્ષ સુધી માત્ર હાજરી પુરાવવા પૂરતા જ સામાન્ય સભામાં હાજર રહ્યા હતાં. જે સભામાં શહેરના કરોડોના બજેટ અને નીતિ-નિયમો નક્કી થતા હોય, ત્યાં આ કોર્પોરેટરોએ મૌન ધારણ કરી લીધું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ 17 નિષ્ક્રિય સભ્યોમાં મહિલાઓની સંખ્યા 14, જ્યારે પુરુષ સભ્યો માત્ર 3 હતી. મહિલા સશક્તિકરણના યુગમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અપાયેલા આરક્ષણ પાછળનો હેતુ એ હતો કે સ્ત્રીઓ પણ વહીવટી પ્રક્રિયામાં સક્રિય ભાગ લે. પરંતુ સભામાં પ્રશ્નોત્તરીના સમયે મૌન સેવીને બેસી રહ્યા હતાં. જાણો કોણ છે જેને એક પણ સવાલ ના થયોપાલિકાના રેકોર્ડ પર પાંચ વર્ષ સુધી મૌન રહેનારા અને એક પણ સત્તાવાર પ્રશ્ન ન પૂછનારા સભ્યોમાં વૈશાલી દેવાંગ શાહ, હેમલતા, ભૂપેન્દ્ર રાવતકા, રૂપાબેન પંડ્યા, ઉષાબેન રાજેન્દ્ર પટેલ, ભારતીબેન સતીષ વાઘેલા, ડિમ્પલ ચેતનભાઈ કાપડીયા, ઉર્મિલાબેન ત્રિપાઠી, હીના કણસાગરા, કવિતા એનાગુંદલા, કાન્તાબેન વાકોડીકર, નિરાલી રાજપૂત, શશીબેન ત્રિપાઠી, વૈશાલી રાજેન્દ્રભાઈ પાટીલ, રાજકુંવર રાઠોડ, રીના રાજપૂત, કનુ પટેલ, હસમુખ શંકરભાઈ નાયકા, ચીમન પટેલ છે. નિષ્ક્રિયતા છતાં ફરીથી ટિકિટ મેળવવાની લાલસાએક તરફ જ્યારે નિષ્ઠાવાન કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે પાયાનું કામ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની નિષ્ક્રિયતા છતાં ફરીથી ટિકિટ મેળવવાની લાલસાએ ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા જન્માવી છે. રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક વિશે પણ બોલ્યા નથી!સામાન્ય સભામાં ઝીરો અવર્સ બાદ જ્યારે અડધો કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે, ત્યારે શહેરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક અંગે રજૂઆત કરવાની હોય છે. આ 17 સભ્યોએ પોતાના વિસ્તારની નાની સમસ્યા અંગે પણ અવાજ ઉઠાવ્યો નથી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:46 pm

ગુજરાત પોલીસ દ્વારા ભારતનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ લોન્ચ:ડ્રગ્સ માફિયાઓ પર કાનૂની ગાળિયો કસાશે, તપાસમાં મોટી મદદ મળશે

ગુજરાતમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાજ્ય સરકારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લીધો છે. ડ્રગ્સના ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ‘NARIT AI’ (Narcotics Analysis RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તપાસ બનશે વધુ વૈજ્ઞાનિક, સજાનો દર વધશેઘણી વખત જટિલ NDPS (નશાબંધી) કેસોમાં મજબૂત પુરાવા હોવા છતાં નાની પ્રક્રિયાત્મક ખામીઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી જતા હોય છે. ‘NARIT AI’ નો મુખ્ય હેતુ આવી ખામીઓને દૂર કરી તપાસને વધુ વૈજ્ઞાનિક અને પુરાવા-લક્ષી બનાવવાનો છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય (Conviction Rate વધારી શકાય). કેવી રીતે કામ કરે છે ‘NARIT AI’?રિયલ-ટાઈમ વિશ્લેષણ: તપાસ અધિકારી જેવી FIR અપલોડ કરશે, કે તરત જ આ સિસ્ટમ કેસનું ઊંડું વિશ્લેષણ કરશે.માર્ગદર્શન: આ ટૂલ કેસની મજબૂતી અને નબળાઈઓ દર્શાવશે અને આગળ કયા કાનૂની પગલાં લેવા જોઈએ તેનું રિપોર્ટ સ્વરૂપે સૂચન આપશે.ઐતિહાસિક ચુકાદાઓનો ડેટા: આ એપ્લિકેશન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હજારો ચુકાદાઓ તેમજ NDPS, BNS અને BNSS જેવા કાયદાઓના ડેટાબેઝ પર આધારિત છે, જેનાથી તપાસ અધિકારીને તૈયાર કાનૂની સંદર્ભો મળી રહેશે.ચોકસાઈ: આ ટૂલ ઓપન ઇન્ટરનેટ પર નિર્ભર ન હોવાથી તેમાં ભૂલો (Hallucinations) થવાની શક્યતા નહિવત છે. પશ્ચિમ રેલવે પોલીસ અને AI સ્ટાર્ટઅપનું સંયુક્ત સાહસઆ મહત્વપૂર્ણ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈના એક AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ પહેલને આખરી ઓપ અપાયો છે, જેમાં વડોદરા રેલવે SP અભય સોનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદનઆ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા કટિબદ્ધ છે. ટેક્નોલોજીના માધ્યમથી હવે તપાસ વધુ મજબૂત બનશે અને ડ્રગ્સના સોદાગરો સામે કાયદાનો ગાળિયો વધુ કડક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘NARIT AI’ ના આગમનથી ગુજરાત પોલીસ હવે હાઈટેક બનીને ડ્રગ માફિયાઓ સામે મોરચો માંડશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:43 pm

સિગારેટનો દમ ને પિસ્તોલથી ભડાકો,VIDEO:સૂર્યા મરાઠી ગેંગના સાગરીતે રોફ જમાવવા હવામાં ફાયરિંગ કર્યું, 21 ગુનાના આરોપીને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો

સુરતના વેડ રોડ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર અને ગુંડાગીરીનો નમૂનો જોવા મળ્યો છે. કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સક્રિય સભ્ય દીપક ઉર્ફે દીપક કુટેકરે પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં સિગારેટનો દમ મારતા મારતા પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી. આરોપીનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો કરી પોતાની 'હવા' બનાવવાનો હતો. જો કે,આ વીડિયો જ તેના માટે જેલના દરવાજા ખોલનારો સાબિત થયો છે. શહેર SOG ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. આરોપીને દબોચવા ફિલ્મી ઢબે ઓપરેશનSOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ફાયરિંગ કરનાર રીઢો ગુનેગાર દીપક કુટેકર ચોક બજાર વિસ્તારમાં અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટી પાસે ફરી રહ્યો છે. પોલીસની ટીમે વોચ ગોઠવી વિરામનગર સોસાયટીના ગેટ પાસેથી દીપક કુટેકરને દબોચી લીધો હતો. પોલીસે તપાસ કરતા તેના કમરના ભાગે છુપાવેલી 35,000ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. આરોપી મૂળ મહારાષ્ટ્રના મહાડ તાલુકાના વાળન ગામનો વતની છે અને હાલ વેડરોડ પર માધવ એપાર્ટમેન્ટમાં રહે છે. હિતેશ સોલંકીને પાઠ ભણાવવા UPથી હથિયાર મંગાવ્યુંધરપકડ બાદ આરોપીની કડક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. દીપકે જણાવ્યું કે, વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે તેને મોટો ઝઘડો થયો હતો. એ સમયે હિતેશ સોલંકીએ દીપક પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં દીપક બચી ગયો હતો પરંતુ તેના મનમાં બદલાની આગ સળગી રહી હતી. હિતેશને વળતો જવાબ આપવા અને પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેણે અંદાજે એકાદ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી 35,000માં આ પિસ્તોલ ખરીદી હતી. આ હથિયાર મેળવવામાં હાલ જેલમાં બંધ વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે મુન્ના દૂધે ભૂમિકા ભજવી હતી. હથિયાર સપ્લાય કરનાર કોણ તેની તપાસDCP રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસ અત્યંત ગંભીર છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1)(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર ઉત્તરપ્રદેશના કયા સપ્લાયર પાસેથી આવ્યું હતું અને મુન્ના સિવાય આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે. હિતેશ સોલંકી કઈ ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની શું ભૂમિકા છે તે અંગે પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસઆરોપી દીપક કુટેકર કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ગુનાખોરીની દુનિયાનો મોટો ખેલાડી છે. સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે અત્યાર સુધીમાં કુલ 21 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, એટ્રોસિટી, મારામારી, ફાયરિંગ અને NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, આરોપી દીપક કાકુટેકર સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. તેની ચાર વખત પાસા હેઠળ ધરપકડ થઈ છે અને એક વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:37 pm

સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર:ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખના પત્તા કપાયા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:35 pm

ઓલ્ડ પાદરા રોડ અશાંતધારા વિસ્તારના એક પ્લોટના સોદા મામલે વિવાદ:સ્થાનિકોએ કોર્પોરેટરના ઘરે રામધુન બોલાવી વિરોધ કર્યો, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર ‘અશાંત ધારા’ હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા રહીશોએ ગત મોડી રાત્રે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો કરી ન્યાયની માંગ કરી હતી. ‘રામ ધૂન’ બોલાવીને સ્થાનિકોએ વિરોધ કર્યોસ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને અન્ય રહીશોનો મોટી સંખ્યામાં મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યો હતો. રહીશોએ ત્યાં દોઢ કલાક સુધી રોકાઈને ‘રામ ધૂન’ બોલાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 'મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે'રહીશોએ જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેમની મુખ્ય માંગ છે કે આ મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 'અશાંતધારો લાગુ હોવા છતાં ફલેટ વેંચ્યો'આ અંગે સ્થાનિક આગેવાન પ્રજ્ઞા મહેરાએ જણાવ્યું હતું કે,અમારી માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાંતધારો લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી. અમે આજે વિશ્વ હિન્દુ પરિષદને સાથે રાખી બધી જગ્યા પર ફરિયાદ કરીએ છીએ. શરૂઆત પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસ અને અત્યારે અમે અહિયાં મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ. 'જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું'મહેરાએ વધુમાં કહ્યું કે, અમારો એક જ વિરોધ છે કે આ જગ્યા પર હિન્દુ અને મુસલમાન ભાગીદારી થઈને દસ્તાવેજ કર્યો છે તો તે રદ કરવો જરૂરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ આંદોલન અને ધરણા પણ કરીશું. કોર્પોરેટરના ઘર આગળ દોઢ કલાક સુધી રાહ જોઈ અને અહીંયા રામધુન પણ કરી છે, તેઓ ઘરે ન હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:16 pm

ટંકારામાં પતિએ બીજી પત્નીની હત્યા કરી:પહેલી પત્ની છોડી જવાના ઝઘડામાં માથામાં બોથડ પદાર્થ મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી

ટંકારાના લજાઈ ગામ નજીક એક કારખાનાના ક્વાર્ટરમાં પતિએ પોતાની બીજી પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલી પત્ની છોડી જવાના મુદ્દે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિએ મૃતદેહને લજાઈ ગામ નજીક ભીમનાથ મંદિરથી આગળ ડેમ પાસે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. આ ઘટનાની જાણ મૃતક મહિલાના દીકરાએ પોલીસને કરી હતી. માહિતી મળતા જ ટંકારા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને મૃતક મહિલાના દીકરાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતક મહિલાના દીકરા સાહિલ સંજયભાઈ ભોજવીયા (ઉંમર ૧૭, રહે. જોગણીનગર, શનાળા, હાલ લજાઈ) એ તેના પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (રહે. લજાઈ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સંજયભાઈએ શકુબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. રાત્રિના સમયે સંજયભાઈ અને શકુબેન વચ્ચે સંજયભાઈની પહેલી પત્ની ગંગાબેન બાબતે બોલાચાલી થઈ હતી. સંજયભાઈએ શકુબેનને કહ્યું હતું કે, તારા કારણે મારી પહેલી પત્ની મારા છોકરાઓ અને મને છોડીને જતી રહી છે. આ ઝઘડા દરમિયાન સંજયભાઈએ શકુબેનના માથામાં બોથડ પદાર્થ માર્યો હતો, જેના કારણે વધુ પડતા રક્તસ્ત્રાવથી તેમનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે સવારે સંજયભાઈએ દીકરા સાહિલને જણાવ્યું હતું કે તેણે શકુબેનની હત્યા કરી છે અને મૃતદેહનો નિકાલ કરવા જવાનું છે. જો સાહિલ નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સાહિલ તેના પિતા સાથે ગયો ન હતો. સંજયભાઈ એકલા જ રીક્ષામાં મૃતદેહ લઈ ગયા હતા. સાહિલ પાછળ ગયો ત્યારે તેણે જોયું કે તેના પિતાએ મૃતદેહને ભીમનાથ મંદિરથી આગળ ડેમ સામે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:15 pm

માથામાંથી માસના લોચા બહાર નીકળી ગયાં:કારના પતરા કાપી મૃતદેહ બહાર કાઢ્યો, NH-48 પર વડોદરા નજીક ‘માફિયા મુંડીર’ લખેલી આર્ટિગા ટ્રકમાં ઘૂસી

વડોદરા પાસથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે (10 એપ્રિલ) વહેલી સવારે કરજણના હલદરવા ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી GJ16DS3079 નંબરની આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. બુકડો કારના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યો અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ડ્રાઈવર અને બે મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કરજણ ફાયરની ટીમે ડ્રાઇવરની બાજુમાં બેઠેલ અને ગંભીર રીતે ફસાયેલા મૃતકને આધુનિક હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ગાડીના પતરા કાપીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતાંઆ ઘટનામાં મોતને ભેંટેલા યુવકનું નામ આકાશ અનિલભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેના માથાના ભાગે ગંભીર ઈજાના કારણે માસના લોચા પણ બહાર નીકળી ગયાં હતાં. આ દૃશ્યો જોનારાને પણ કંપારી છુટી ગઈ હતી. હાલ સાવલી આઉટ પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:11 pm

જામનગર રિલાયન્સમાં લોકડાયરાની જમાવટ:અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની જામનગરમાં લોકભોગ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જામનગરની જનતા માટે ભવ્ય લોકડાયરો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાકારોનું પ્રદર્શનજન્મદિવસ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો સાઈરામ દવે, રાજભા ગઢવી, વિપુલ મહેતા અને દેવાંગી પટેલે પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અનંત અંબાણીના જીવન અને સેવાકીય કાર્યો પર તૈયાર કરવામાં આવેલું ખાસ ગીત હતું, જેને હાજર જનમેદનીએ ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું. જનસેવા અને કરુણાનો સંદેશઅનંત અંબાણીની ઈચ્છા મુજબ, આ ઉજવણી માત્ર ધાર્મિક સ્થળો સુધી મર્યાદિત ન રાખતા સામાન્ય લોકોની વચ્ચે કરવામાં આવી હતી. શહેરના નાગરિકો માટે ‘ધૂમાડાબંધ’ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખાસ કરીને મહિલાઓએ અનંત અંબાણીના જીવદયા અને લોકસેવાના કાર્યોને બિરદાવી તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટનું નિવેદનઆ પ્રસંગે રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, અનંત અંબાણીમાં ગરીબો અને અબોલ જીવો પ્રત્યે અપાર કરુણા છે. તેમનો સ્વભાવ કોઈ મોટા ઉદ્યોગપતિ જેવો નહીં, પણ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જામનગરની માટી અને રિફાઇનરી પ્રત્યે તેમને વિશેષ લગાવ અને ગૌરવ છે. વનતારા જેવા સેવાકીય પ્રકલ્પો દ્વારા તેઓ સતત પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશની કૃપા તેમના પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના છે. ડાયરા અને મહાપ્રસાદના આયોજનની અન્ય તસવીરો…

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 1:09 pm

પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો.:વિસાવદરના પીરવડ ગામે 'મામા દેવ'ના મંદિર પાસે હથિયાર સાથે આંટાફેરા મારતો શખ્સ ઝડપાયો: SOG એ કમરમાંથી લોડેડ પિસ્તોલ શોધી કાઢી.

​જૂનાગઢમાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો અને ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વિસાવદર તાલુકાના પીરવડ ગામ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક શખ્સને ઘાતક પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે ઝડપી લીધો છે. મામા દેવના મંદિર પાસે શંકાસ્પદ રીતે ફરતા સુરેશ હુદડ નામના શખ્સની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેણે પેન્ટના નેફામાં છુપાવીને હથિયાર રાખ્યું હતું. આ મામલે સુરેન્દ્રનગરના એક શખ્સનું નામ પણ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ​જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગના અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા. આ દરમિયાન એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ. પટેલની ટીમને બાતમી મળી હતી કે, વિસાવદરના પીરવડનો સુરેશ માણસુરભાઈ હુદડ હથિયાર સાથે ગામથી શોભાવડલા લશ્કર રોડ પર આવેલા મામા દેવના મંદિર પાસે કોઈની રાહ જોઈ રહ્યો છે અથવા તો શંકાસ્પદ રીતે આંટાફેરા મારી રહ્યો છે. ​બાતમી મળતા જ એસ.ઓ.જી.ની ટીમે સિવિલ ડ્રેસમાં ઓપરેશન ગોઠવ્યું હતું. પોલીસની ટુકડી જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સુરેશ ત્યાં હાજર હતો. અચાનક આવેલી પોલીસને જોઈ તે ભાગવાની કોશિશ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. જ્યારે તેની અંગઝડતી લેવામાં આવી ત્યારે તેના પેન્ટના નેફામાંથી એક પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા. પોલીસે ₹20,000 ની કિંમતની પિસ્તોલ અને કાર્તૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.​પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને સુરેન્દ્રનગરના કિશન ગઢવી નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે કિશન ગઢવીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ હથિયાર કોઈ મોટી વારદાતને અંજામ આપવા માટે લાવવામાં આવ્યું હતું કે માત્ર રોફ જમાવવા, તે દિશામાં હવે વિસાવદર પોલીસ અને એસ.ઓ.જી. સંયુક્ત તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યો છે. ​આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ, બાલુભાઈ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર વિશાલભાઈ ડાંગરે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિસાવદર પંથકમાં ધોળા દિવસે હથિયાર સાથે શખ્સ પકડાતા ચકચાર મચી ગઈ છે, સાથે જ પોલીસે ગુનેગારોને કડક મેસેજ આપ્યો છે કે જૂનાગઢમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:54 pm

વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગંદા પાણીને લઈને લોકોનો હોબાળો:આક્રોશ સાથે મહિલાઓએ કહ્યું: આ ગંદુ પાણી કોર્પોરેટર પીને બતાવે, કોઈ કોર્પોરેટરે વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં, અમે કોઈને પેસવા નહીં દઈએ

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. જેને લઈને આજે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ભાજપના સ્થાનિક કોર્પોરેટરો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. અટલાદરા વિસ્તારમાં રહેતા સુધાબેન ચાવડાએ જણાવ્યું હતું કે, અમે અટલાદરા ગામના કોઠી ફળિયામાં રહીએ છીએ. છેલ્લા 15 વર્ષથી અહીં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. તમે પોતે જોઈ શકો છો કે, આ પાણી કેટલું ગંદુ અને ડહોળું છે. ક્યારેક તો આનાથી પણ ખરાબ, એકદમ કાળું પાણી આવે છે. અમે કેટલીય વાર અમારા વિસ્તારના કોર્પોરેટરને ફોન કર્યા છે, અનેક ફરિયાદો આપી છે. પણ જ્યારે પણ ફરિયાદ કરીએ, ત્યારે તેઓ ટાંકી પર કામ કરતા મજૂરોને મોકલી દે છે. આ લોકો આવે છે, ખાલી પાણી ચેક કરે છે, બોટલ ભરીને લઈ જાય છે અને બસ, વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. કોઈ કાયમી નિકાલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કોર્પોરેટર અહીં ડોકાયું પણ નથી. જો આ પાણી તેઓ પી શકતા હોય, તો જ અમે આ પાણી પી શકીએ. સામાન્ય જનતા આવું ગંદુ પાણી કેવી રીતે પીવે? મેં હમણાં જ અઠવાડિયા પહેલા અમારી ટાંકી સાફ કરાવી, તમે માનશો નહીં એટલો બધો કચરો એમાંથી નીકળ્યો છે. અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. જો આ રીતે જ ગંદુ પાણી આવવાનું હોય, તો આ પાઇપલાઇન જ તોડી નાખો, અમારે આવું પાણી જોઈતું જ નથી. અમે બીજે ક્યાંકથી પાણી ભરી લાવીશું. પણ પછી કોઈએ અમારી પાસે વેરો માંગવા આવવું નહીં. અને ખાસ કરીને, આ ચૂંટણીઓમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. તેઓએ કહ્યું કે, જો તમે અમારી પાયાની જરૂરિયાત પૂરી નથી કરી શકતા, તો મોટા-મોટા વાયદાઓનો કોઈ અર્થ નથી. તમે આખા અટલાદરા ગામમાં પૂછી જુઓ, અમારા ફળિયાની હાલત 15 વર્ષથી આવી જ છે. જો અઠવાડિયામાં આનો નિકાલ નહીં આવે, તો અમે કોઈ પણ જાતનો ટેક્સ ભરીશું નહીં અને વોટ પણ આપીશું નહીં. અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠી ફળિયામાં રહેતા અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માને છે કે ચોમાસામાં પાણીની સમસ્યા હોય, પણ અહીં તો શિયાળો હોય કે ભર ઉનાળો અમે ગંદા પાણીનો જ સામનો કરીએ છીએ. ઉનાળામાં પણ નળમાં ગટરનું કાળું અને ગંદુ પાણી આવે છે. અમારે શું આ પાણી પીવાનું? આ વિસ્તારમાં લાઇન નાખ્યાને 15 વર્ષ થઈ ગયા છે, પણ સમસ્યા કાયમની છે. સવારે અડધો કલાક પાણી આવે તો એમાં પણ પહેલા અડધો કલાક ગટરનું જ પાણી હોય છે. પ્રેશર પણ બિલકુલ હોતું નથી. અમે કેટલીય વાર ફરિયાદો કરી છે, પણ કોઈ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેમના ઘરે સગવડ છે તેઓ બહારથી પાણી ખરીદી લાવે છે અથવા દૂરથી ભરી લાવે છે. પણ જે લોકો મજૂરી કામ કરવા જાય છે, જેમના ઘરના પુરુષો સવારથી કામે નીકળી જાય છે, તેમને પાણી કોણ લાવી આપે? આ ખૂબ જ મોટી મુશ્કેલી છે. કોર્પોરેટરોએ તો અમારું ‘કોઠી ફળિયું’ જોયું જ નથી. એમને તો ખબર પણ નહીં હોય કે બિલ ગામમાં કોઠી ફળિયું ક્યાં આવ્યું છે. વોટ લેવા માટે બધા આવશે, પણ પાછળથી કોઈ જોવા આવતું નથી. અમે આ વખતે મક્કમ છીએ કે જો અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો અમે કોઈને ફળિયામાં પેસવા પણ નહીં દઈએ. જો અમને પાયાની જરૂરિયાત જેવું શુદ્ધ પાણી જ ન મળતું હોય, તો વોટ આપવાનો શું અર્થ? અમને નવી પાણીની લાઇન જોઈએ છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે. આજે મને સ્થાનિકોનો ફોન આવ્યો ત્યારે હું અહીં પહોંચ્યો છું. લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. અત્યારે શાસક પક્ષ ભાજપના લોકો સત્તામાં છે. મારે એમને પૂછવું છે કે શું તમે પોતે આવું ગંદુ પાણી પી શકો? જો તમે પીવો તો જ તમને લોકોની વેદનાની ખબર પડે. આજે 'વિશ્વ જળ સંસાધન દિવસ' છે, અને આવા દિવસે પણ કોર્પોરેશન અને સત્તાધીશો લોકોને ગંદુ પાણી પીવડાવી રહ્યા છે. હું શાસક પક્ષ અને કોર્પોરેશનને કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં જનતા તમને આનો જવાબ આપશે. આ પાણી એટલું ગંદુ છે કે કોઈ પી શકે તેમ નથી. જો સત્તાધીશોમાં હિંમત હોય તો તેઓ આ પાણી પીને બતાવે, ત્યારે જ તેમને વાસ્તવિકતા સમજાશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:46 pm

વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 એપ્રિલ, 2026ના રોજ 11 KV જૈન ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે શનિવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વેરાવળના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાર ચોક, સુભાષ રોડ, જૈન હોસ્પિટલ રોડ, વખારિયા બજાર, લાબેલા રોડ, ઘાણી શેરી, જુના રબારી વાડા, બહારકોટ, જૂની મામલતદાર ઓફિસ, પાટણ દરવાજા અને જબાર ચોકનો સમાવેશ થાય છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા જણાવાયું છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે, પરિવારના સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:44 pm

નવસારી મનપા ચૂંટણી: 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી:પ્રદેશની જાહેરાત પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના 13 વોર્ડની તમામ 52 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જોકે, પ્રદેશ કમિટી દ્વારા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ સ્થાનિક સ્તરે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. નવસારી શહેરના ઘાંચી સમાજની વાડી ખાતે સવારથી જ ભાજપના દાવેદારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા શિસ્તબદ્ધ રીતે દરેક વોર્ડની ત્રણ-ત્રણ પેનલના સંભવિત ઉમેદવારોને બોલાવી તેમના ફોર્મ તૈયાર કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગતિવિધિ દર્શાવે છે કે પક્ષે સસ્પેન્સ જાળવી રાખીને પણ આંતરિક રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉમેદવારી ફોર્મમાં કોઈપણ પ્રકારની કાયદાકીય ક્ષતિ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભાજપ સમર્પિત 15થી વધુ વકીલોની એક વિશેષ ટીમ મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમ દ્વારા ઉમેદવારોના દસ્તાવેજો અને એફિડેવિટની ઝીણવટભરી તપાસ કરીને ફોર્મ ભરવાની કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે. હાલમાં ઉમેદવારોના નામ અંગે ભારે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોર બાદ પ્રદેશ ભાજપ દ્વારા 13 વોર્ડના તમામ 52 ઉમેદવારોના અંતિમ લિસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:41 pm

ચોટીલામાં ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમ કાર્યક્રમ યોજાયો:પ્રિસાઇડીંગ, પોલીંગ ઓફિસરોને ચૂંટણી પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

ચોટીલા શહેરની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી વિનિયન કોલેજ ખાતે ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ માટે પ્રથમ ચૂંટણીલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-૧, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસર માટે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર, ચોટીલા, એચ. ટી. મકવાણા હાજર રહ્યા હતા. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મકવાણાએ મતદાન પ્રક્રિયા, ઇવીએમ મશીનોના ઉપયોગ, મતદારની ઓળખ પ્રક્રિયા, સીલિંગ પ્રક્રિયા અને મતદાન દરમિયાન પાલન કરવાના નિયમો અંગે વિગતવાર માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન મતદાન મથક પર ઊભી થતી વિવિધ પરિસ્થિતિઓનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. અધિકારીઓને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને યોગ્ય રીતે હલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને સરળતા રહે તે માટેની આવશ્યક બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:30 pm

પથ્થર, ધોકા, બૂટ-ચપલથી ધિંગાણુ,VIDEO:સુરતમાં 15 હજારની લેતીદેતીમાં બે જૂથ જામી પડ્યા, રોડ પર ફિલ્મ દૃશ્યો સર્જાયા

સુરતના અડાજણ વિસ્તારમાં હનીપાર્ક રોડ પર સાઈ સ્પોર્ટ્સ નામની દુકાનની સામે રુપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભીડભાડવાળા આ રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મારામારી એટલી ઉગ્ર હતી કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કર્યાં હતા. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.સમગ્ર મુદ્દે પોલીસે બંન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. લાકડાના ફટકા, પથ્થર અને બૂટ-ચપલ વરસાવ્યાવાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પક્ષના લોકો હાથમાં લાકડાના ફટકા લઈને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. માત્ર લાકડીઓ જ નહીં, પણ રસ્તા પર પડેલા પથ્થરો અને ચપ્પલોથી પણ એકબીજાને માર મારી રહ્યા હતા. આ હિંસક અથડામણને કારણે હનીપાર્ક રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મારામારીમાં કેટલાકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 15 હજાર રૂપિયા માટે ખેલાયો જંગપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મારામારી પાછળનું મુખ્ય કારણ આર્થિક વ્યવહાર હતો. આરોપી કાર્તિક ઓમ પ્રકાશ પ્રજાપતિને ધ્રુવ યાદવ પાસેથી 15,000 રૂપિયા લેવાના નીકળતા હતા. આ રકમની ઉઘરાણી બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. શુક્રવારે આ બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. સામાન્ય રકમની લેતીદેતીમાં બંને પક્ષોએ હિંસક સ્વરૂપ ધારણ કરી રસ્તા પર જંગના મેદાન જેવી સ્થિતિ સર્જી દીધી હતી. બંન્ને પક્ષ સામસામે ફરિયાદ નોંધાવીઆ ઘટના બાદ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષોને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રથમ ફરિયાદ ધ્રુવ યાદવે નોંધાવી છે, જેમાં કાર્તિક પ્રજાપતિને આરોપી બનાવવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ, ઓમ પ્રકાશ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા ધ્રુવ યાદવ અને સની આહીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. CCTV અને વીડિયોના આધારે તપાસ તેજઅડાજણ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ વીડિયોને પુરાવા તરીકે કબજે કર્યાં છે. વીડિયોમાં દેખાતા તમામ શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જાહેર રોડ પર આ પ્રકારે આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. હાલ આ વિસ્તારમાં શાંતિ છે, પરંતુ ગુંડાગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:21 pm

'પુત્ર પ્રાપ્તિની શિવ મંદિરની માનતા રાખી હતી':ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં પત્નીની ડાયરીમાં ઘટસ્ફોટ, પૂછપરછમાં પિતાનું BP હાઇ થઈ જાય છે

અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. જો કે હવે ભાવનાની એક ડાયરી મળી છે. જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે શિવ મંદિરની માનતા રાખી હતી. જેને પગલે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં દંપતી વચ્ચે ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વિમલ ઘઉમાં મૂકવાની દવા રામનગરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવ્યો હતો. પૂછપરછ દરમિયાન પિતાનું BP હાઇ થઈ જાય છેપોલીસ પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. પોલીસને પરિવાર પર જ શંકા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2024માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો. ઘર કંકાસ અને ખીરાના એંગલથી તપાસઆ અંગે ચાંદખેડા PI જયેશ મકવાણાએ જણાવ્યું કે, વિસેરાનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમજ કેડી હોસ્પિટલમાંથી માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈ NFSUમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી હતી. કયા કારણોસર તેની માત્રા વધારે છે તે બાબતે પણ ડોક્ટરનો અભિપ્રાય મેળવી આગળની તપાસ કરાશે. ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદન લેવામાં આવ્યા હતા. એના ઉપરથી ફલિત થાય છે કે ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ખીરાથી અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભર્યું છે તે બન્ને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઘરના સદસ્યોમાં બાળકીઓના દાદા ગૌરીશંકરજી અને દાદી કુસુમ તેમજ તેના વેવાઈ એમ તમામની પૂછપરછ ચાલુ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત કયા કારણોથી થયું તે સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:19 pm

તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16.640 કિલોગ્રામ વજનનો અને 4.16 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શેરડીની આડમાં ચાલતી હતી નશાની ખેતીએસઓજી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પર 'જૂની વાવના કેડા' પાસે આવેલા પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે અને તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ઘટનાસ્થળે અચાનક દરોડો પાડ્યો હતો. FSLની ટીમે સ્થળ પર જ કરી ખરાઈપોલીસને તપાસ દરમિયાન શેરડીના પાક વચ્ચેથી શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. જેની સત્તાવાર ખરાઈ કરવા માટે એફએસએલ (FSL)ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. એફએસએલની તપાસમાં આ છોડ નશાકારક ગાંજાના હોવાનું જ ફલિત થતાં, પોલીસે કુલ 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ આંકવામાં આવી છે. સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હતુંપોલીસે આરોપી પરશોતમ ડોડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાને ગાંજો પીવાની ટેવ છે, આ ઉપરાંત સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. આ મામલે SOG ના મહિપાલસિંહ દિલુભા ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ દાઠા પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:06 pm

મહાદેવના દર્શન કરી કોંગ્રેસ ના ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા:કોંગ્રેસ દ્વારા 'વિજય સંકલ્પ પદયાત્રા' સાથે જાહેર થયેલા ઉમેદવારો એ નામાંકન ભરવા મહાદેવ ના દર્શન કરી નીકળ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વોર્ડના ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય સંકલ્પ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા શહેરના માર્ગો 'પરિવર્તન'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા, ​ભીડભંજન મહાદેવના આશીર્વાદ સાથે પ્રારંભ​આ પદયાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પાસે આવેલા પવિત્ર ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો, મહાદેવના આશીર્વાદ લઈ, વિજયના સંકલ્પ સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો, ઉમેદવાર ના ચાહકો તથા કાર્યકરો વાજતે-ગાજતે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ ભર્યા હતા, ​પદયાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરની જનતાને પરિવર્તન માટે અપીલ કરવામાં આવી હતી, પદયાત્રામાં આવો સૌ સાથે મળી ભાવનગરમાં પરિવર્તન લાવીએ તથા ​પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ સૂત્રોચ્ચાર કર્યા હતા, ઢોલ-નગારા અને વિજયના ઉત્સાહ સાથે પદયાત્રા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા, કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવનગરની જનતા આ વખતે પાયાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ પર પસંદગી કરશે કે નહીં તે જોવાનું રહ્યું....? કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલવોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલવોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારાવોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયાવોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખરવોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયાવોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલવોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલવોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણીવોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલવોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈવોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલવોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલવોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલવોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:04 pm

ધ્રાંગધ્રામાં 54,200નો ગાંજો ઝડપાયો:SOG સુરેન્દ્રનગરે એક આરોપીને પકડ્યો, બીજો ફરાર

સુરેન્દ્રનગર SOG ટીમે ધ્રાંગધ્રામાંથી ₹54,200ની કિંમતનો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ધ્રાંગધ્રાના અલ મદીના મસ્જિદ પાસે, ખાટકી વાસ વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ઉર્ફે માથો ઇકબાલભાઈ બાબી (ઉંમર 38)ના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો અને ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી યાસીનભાઈની ધરપકડ કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના મુજબ, જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગાંજો સપ્લાય કરનાર લીંબડીના હર્ષદભાઈ કિશોરભાઈ નામના બીજા આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ સહિત SOGના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:39 am

બોટાદ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી:જિલ્લા પંચાયત અને બે નગરપાલિકાની બેઠકો માટે નામો જાહેર

બોટાદ જિલ્લા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ નગરપાલિકાની 44 અને બરવાળા નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતોના ઉમેદવારોની જાહેરાત બપોર બાદ કરવામાં આવશે. જિલ્લા પંચાયતની યાદીમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવા જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. કોંગ્રેસે પસંદગી પામેલા ઉમેદવારોના સિંગલ નામોની જાહેરાત કરી છે. કેટલાક ઉમેદવારો આજથી જ તેમના ઉમેદવારી પત્રો રજૂ કરશે, જ્યારે બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. બોટાદ જિલ્લા પંચાયત માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:23 am

ઉમેદવારોનાં નામ જાહેર થયા પૂર્વે ફોર્મ ભરવા તૈયારી:રાજકોટ ભાજપમાં કોઈપણ પ્રકારનો જૂથવાદ નહીં હોવાનો ભાજપ અગ્રણીનો દાવો, ગમે તે ઘડીએ નામો જાહેર થવાની શક્યતા દર્શાવી

રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેર ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલાએ પક્ષમાં કોઈપણ પ્રકારના જૂથવાદ કે આંતરિક ખેંચતાણ હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની જાહેરાત પ્રદેશ નેતૃત્વની એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે અને ગમે તે ઘડીએ નામો જાહેર થઈ શકે છે, પરંતુ પક્ષનું સંગઠન અત્યારથી જ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે 'વિજય વિશ્વાસ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે શહેર ભાજપના અગ્રણીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી. નેતાઓએ સભાના મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપી હતી. હજુ ઉમેદવારોના નામ બાકી હોવા છતાં આ પ્રકારે તૈયારીઓ કરવી એ ભાજપની કેડર-બેઝ્ડ કાર્યપદ્ધતિ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. વિરેન્દ્રસિંહ ઝાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ટિકિટ ફાળવણીમાં થઈ રહેલા વિલંબ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નામો નક્કી કરવામાં કોઈ વિવાદ નથી. પ્રદેશ નેતૃત્વ દ્વારા દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. કાલથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ મહાપાલિકા અને જિલ્લાના નામો પણ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ટિકિટ ફાળવણીમાં ધારાસભ્યો કે સંસદ સભ્યોના કોઈ વ્યક્તિગત દબદબાની વાત પાયાવિહોણી છે. તમામ નિર્ણયો પક્ષના વરિષ્ઠ આગેવાનોના સંકલન અને કાર્યકરોના અભિપ્રાય મુજબ જ લેવામાં આવે છે. આવતીકાલના કાર્યક્રમ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજકોટનાં તમામ 18 વોર્ડના સંભવિત ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થશે. અહીં સૌ પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ યોજાનારા સંમેલનમાં ભાજપ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે રવાના થશે. ભાજપના આક્રમક અભિગમ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ ભાજપે સંગઠનાત્મક સ્તરે વહેલી તૈયારીઓ કરીને પ્રચારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પેજ સમિતિથી લઈને શહેરના હોદ્દેદારો સુધીના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે વ્યક્તિ કરતા પક્ષનું નિશાન 'કમળ' મહત્વનું હોવાનો સંદેશ આ શક્તિ પ્રદર્શન દ્વારા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ ભરાયા બાદ રાજકોટમાં ચૂંટણી જંગ વધુ તેજ બનશે અને રાજકીય ગતિવિધિઓ નવા વળાંક લેશે તેવી પૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:16 am

ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં:તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને જિલ્લા પંચાયતની ટિકિટ મળતા ભડકો, પતિએ કહ્યું-આ લડત જનતાના હક્ક માટે

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી દીધી છે કે, આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. પોર બેઠકના નયના પરમાર પ્રબળ દાવેદાર હતા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર નયના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં એમ.એ.બીએડ, થયેલા છે. આ ઉપરાંત નર્સિંગમાં તેઓએ એમએસડબલ્યુ કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારને જિલ્લાના એક ધારાસભ્યે સપોર્ટ પણ આપ્યો હતો. જો કે, અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળીને નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કારવ્યું હોવાની ચર્ચા છે. ફેસબુક ઉપર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત નયના પરમારના પતિ રાજેશ પરમાટે ટિકિટ કપાયા બાદ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જનતાની તાકાત એ જ સાચો વિકાસ. 11 એપ્રિલના રોજ પોર જિલ્લા પંચાયત સીટ અપક્ષ ઉમેદવાર નયના પરમાર ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ લડત કોઈ પક્ષ માટે નથી, આ લડત છે જનતાના હક, વિકાસ અને ન્યાય માટે. ગામના દરેક પ્રશ્નને અવાજ આપવાનો સંકલ્પ સાથે, આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ભરવા સમયે હાજર રહી આશીર્વાદ આપશો. ઇન્સ્ટા ગર્લ અંકિત પરમાર અને નયના પરમારની લડાઈ રીલ બનશે કે રિયલ? તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમાર રીલ બનાવવામાં માહિર છે. તેઓના ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોઅર્સ પણ છે. તેઓ રીલ લાઈફમાં ખુબ જ સક્રિય છે, ત્યારે હવે ચૂંટણીના આ જંગમાં ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમાર અને નયના પરમાર વચ્ચેની લડાઈ રીલ એની રહે છે કે રિયલ બની રહે છે તે જોવું રહ્યું. જો કે એક જૂથ એમ પણ માની રહ્યું છે કે, ભાજપ નયના પરમાર અને રાજેશ પરમારને મનાવવાની પણ કોશિશ કરશે. અંકિતા પરમાર હાલમાં જ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા છે પ્રદેશ સંગઠનનું તાજેતરમાં આજ ગઠન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના યુવા સંસદ ડો. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા રાજ્યમાં પોતાની નવી ટીમ નક્કી કરવામાં આવી હતી, ત્યારે તેમાં અંકિતા પરમારને ઉપપ્રમુખ તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે, ભાજપે અંકિત પરમારને તાલુકા પંચાયતના યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે અન્ય કાર્યકરોને પણ પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ત્યારે હવે આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:07 am

ભરૂચમાં 6 ફૂટનો ધામણ સાપ ઝડપાયો:આશુતોષ-1 વિસ્તારના મકાનમાંથી રેસ્ક્યુ કરાયો

ભરૂચ શહેરના આશુતોષ-1 વિસ્તારમાં એક મકાનમાંથી આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઝડપાયો હતો. નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મકાનમાં સાપ દેખાતા મકાન માલિકો અને આસપાસના રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ હિરેન શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાવચેતીપૂર્વક ધામણ સાપને પકડી લીધો હતો. સાપને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:58 am

દ્વારકાના ડો. કાનભાઈ આહીરનો ગૌ-સેવા સંકલ્પ:હોટલની કમાણીના 25% ગૌ-માતાના ઘાસચારા માટે સમર્પિત

દ્વારકામાં નોયજી હોટલના માલિક ડો. કાનભાઈ આહીરે ગૌ-સેવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે પોતાની હોટલની કુલ કમાણીના ૨૫ ટકા ગૌ-માતાના ઘાસચારા અને સેવામાં વાપરવાની જાહેરાત કરી છે. આ પહેલ દ્વારકાના રાવળા તળાવ કાંઠે શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે વેપારીઓ નફા-નુકસાનના ગણિત પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, ત્યારે ડો. કાનભાઈએ આર્થિક પ્રવૃત્તિને ગૌ-સેવા સાથે જોડી છે. આ નિર્ણય દ્વારા તેમણે પોતાની આજીવિકામાંથી થતી કમાણીનો ચોથો ભાગ ગૌ-માતાને સમર્પિત કર્યો છે. ભગવાન દ્વારકાધીશની નગરીમાં લેવાયેલો આ નિર્ણય સમગ્ર હાલાર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. શ્રીકૃષ્ણની ભૂમિમાં એક આહીર દ્વારા ગૌ-સેવા માટે લેવાયેલું આ પગલું વૈષ્ણવો અને ગૌ-પ્રેમીઓ માટે પ્રેરણાદાયક બન્યું છે. નોયજી હોટલ હવે માત્ર એક વ્યાપારી સંસ્થા ન રહેતા, સેવાના કાર્ય સાથે પણ જોડાઈ ગઈ છે. ડો. કાનભાઈએ સ્પષ્ટ કર્યું કે તેમની કમાણી પર ગૌ-માતાનો પ્રથમ હક રહેશે. આ જાહેરાત બાદ દ્વારકાના સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. વેપારી આલમમાં પણ આ એક સંદેશ પહોંચ્યો છે કે લક્ષ્મીનો ઉપયોગ પરમાર્થના કાર્યોમાં થાય તે મહત્વનું છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:42 am

સોશિયલ મીડિયા પર ભય ફેલાવવો પડ્યો ભારે:હથિયાર સાથે અજય ઉર્ફે દાદા શુકલ ફોટા મૂકતો હતો; SOGએ એરગન, તલવાર અને છરી સાથે ઝડપ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડીયામાં સખત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા વિસ્તારમાં હથિયારો સાથે ફોટા વાયરલ કરી લોકમાનસમાં ખોટી દહેશત ફેલાવનાર એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી. શાખાની ટીમ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અજય ઉર્ફે દાદા અમુભાઈ શુકલ (ઉ.વ. 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પોતાના હાથમાં એરગન, તલવાર અને છરી જેવા હથિયારો લઈને ફોટા પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો, જેના કારણે લોકોમાં ભય અને ખોટી દહેશત ફેલાતી હતી. પોલીસે આરોપી પાસેથી મોટી એરગન – રૂ. 1000, નાની લાઇટર એરગન – રૂ. 100, ધાતુની તલવાર – 2 નંગ (રૂ. 1000), ધાતુની છરી – 1 નંગ (રૂ. 100) કુલ મુદામાલ કિંમત રૂ. 2200 નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા તથા પી.એસ.આઈ. આર.એચ. સુવા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવદાનભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશ્યલ મીડીયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને હથિયાર સાથેના ફોટા કે વીડિયો અપલોડ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ ન કરે, નહિતર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:41 am