આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ:ભાજપે ભરૂચ ન.પા. અને સુરત મ.ન.પા.ની યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. છેલ્લા બે દિવસથી ધડાધડ ભાજપ પક્ષ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. ગત મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા-પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે છેલ્લા દિવસે પણ બાકી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 કાપોદ્રાના ચાર ઉમેદવાર પણ જાહેર કરી દેવાયા છે. આ સાથે જ ભાજપે ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, જંબુસર નગરપાલિકા, ભરૂચ જિલ્લા પંચાયત, જંબુસર તાલુકા પંચાયત, આમોદ તાલુકા પંચાયત, વાગરા તાલુકા પંચાયત, અંક્લેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત, ભરૂચ તાલુકા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત, વાલીયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતની પણ યાડી જાહેર કરી દેવામાં આવી છે.
ઈઝરાયેલ ચાર દાયકાથી લેબનોનમાં હિઝબુલ્લાહને હરાવી શક્યું નથી
- 1982માં શિયા મુસ્લિમોના જૂથને ઈઝરાયેલે હરાવ્યા બાદ ઈરાનની મદદથી ત્યાં હિઝબુલ્લાહનું નેટવર્ક તૈયાર કરાયું જે આજેપણ ઈઝરાયેલની સેનાને હંફાવે છે - હિઝબુલ્લાહ વિશે સમજવા જેવી વાત એ છે કે, આ કોઈ સેના નથી. આ એક હથિયારબંધ જુથ છે. તેઓ શિયા સમુદાયનું એક હિઝબુલ્લાહ નામનું સામાજિક સંગઠન છે. તેઓ હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે અને શહેરની નગરપાલિકાઓમાં પણ દખલ દઈને લોકોના કામ કરાવે છે. લેબેનોનની સંસદમાં પણ હિઝબુલ્લાહના સાંસદો છે : વર્ષ 2000માં હિઝબુલ્લાહએ પોતાની પહેલી જીત મેળવી હતી.
ટિકિટના નામે ઠગાઈ:ભાદ્રોડ તાલુકા પંચાયતની ટિકિટ અપાવવાનું વચન આપીને મહિલા સાથે ઠગાઇ આચરાઇ
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવામાં આપના બે નેતાએ એક દલીત સમાજની મહિલાને ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ ન મળતા આપના બે નેતા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહુવાના ભાદ્રોડ ગામે રહેતા આશાબેન નિખીલભાઇ વાઘએ પોલીસ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ વિરૂદ્ધ બળાપો કાઢ્યો છે આશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ બારૈયાએ તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને રાજેન્દ્ર બારૈયા અને દિલ્લી ખાતેના બ્રિજરાજસિંહ બંન્નેએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ આપવાનું વચન આપેલ હતું. જે દરમિયાન બંન્ને નેતાઓએ ચુંટણીનો વીસ હજાર રૂપિયાનો આશાબેન પાસે ખર્ચ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામમાં ચુંટણી પ્રચાર પણ કરાવ્યો હતો. જે બાદ ગત તા. 3-4-2026 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવી હતી. પરંતુ એ નામાવલીમાં આશાબેનના નામને બદલે ભાદ્રોડ ગામના અને તેના જ સમાજના મહિલા હંસાબેન અશોકભાઇ કાતરીયાને ટીકીટ માટે પસંદગી કરવામાં આવી હતી. જે મામલે આશાબેને નામાવલીમાં નામ નહીં આવવાથી રાજેન્દ્ર બારૈયાને વાત કરતા રાજેન્દ્ર બારૈયાએ આશાબેન તેમજ તેમના પતિ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો અને જ્ઞાતીથી અપમાનીત કરાયા હતા. તેમજ રાજેન્દ્ર બારૈયા અને બ્રિજરાજસિંહે પાંચ લાખ રૂપિયા લઇ હંસાબેનને ટીકીટ આપ્યાનો આક્ષેપ કરાયો હતો જે મામલે આશાબેન વાઘએ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર બારૈયા (રહે. ડુંડાશ, મહુવા), બ્રિજરાજસિંહ, ટીકીટ મેળવનાર હંસાબેન કાતરીયા તેમના પતિ અશોક કાતરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીની સભામાં આશાબેનને લઇ જવાયા હતાઆપના બન્ને નેતાએ દલીત સમાજના આશાબેનને ટીકીટની લોભામણી લાલચ આપી હતી. જેને લઇને વીસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામે ચુંટણી પ્રચાર કરાવ્યો હતો. તેમજ અમરેલી ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભા ખાતે વીસેક માણસો પણ બોલેરો પીકઅપ બંધાવીને લઇ ગયા હતા પણ ટીકટ ન આપી, છેતરપિંડી આચરી હતી.
નિમણૂંક:ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 72 તબીબોની નિમણૂંક કરાઇ
ગુજરાતના રાજ્યપાલના હુકમથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીમાં પસંદગી થયેલા 72 તબીબોની કરી નિમણુંક કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે મેડિસિન વિભાગમાં 43 અને સર્જરી વિભાગમાં 29 તબીબોના ઓર્ડર જારી કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર, મેડિકલ કોલેજ વડોદરા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ અને સરકારી મેડિકલ કોલેજ સુરતમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે પે-મેટ્રિક્સ લેવલ-11 એન્ટ્રી પે રૂ.68,900ના પગાર ધોરણ સાથે બે વર્ષના અજમાયશી સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરાઈ છે. મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે મેડિસિનના 43 અને સર્જરીના 29 તબીબોના થયેલા ઓર્ડરમાં સ્થાનિક ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ડો.અભિજીત યાદવ, ડો.તેજસકુમાર પટેલ અને ડો.શૈવા પટેલના ઓર્ડર નીકળ્યા છે. તેમજ ભાવનગર સરકારી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં ડો.ભિષ્મ માંડલિયા અને ડો.હર્ષરાજસિંહ બારડના ઓર્ડર નીકળ્યા છે.
આંકડા લખાવી વેપાર કરનારાઓનો પર્દાફાશ:મહુવામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર ઝબ્બે
ભાવનગરના મહુવામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. મહુવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રેડ કરતા પોલીસને જુગાર રમતા આરોપીઓને પકડી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ચારેય શખ્સો મુખ્ય સુત્રધારને ફોન કરી આંકડા લખાવી રૂપિયાનો વેપાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહુવાના વાસીતળાવ વિસ્તારમાં કેટલાક ઉમરલાયક વ્યક્તિઓ જાહેરમાં વરલી મટાકનો જુગાર રમતા હોવાની મહુવા પોલીસને બાતમી મળી હતી. જે આધારે પોલીસે દરોડા પાડતા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ વૃદ્ધ સહિત ચાર શખ્સો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જે દરમિયાન દિપક મોહનભાઇ કળસરીયા (ઉ.વ.65, રહે. જનતા પ્લોટ નં. 1, મહુવા), આતુ લાખાભાઇ ધુંધળવા (ઉ.વ.75, જનતા પ્લોટ નં. 2), અરવિંદ બાબુભાઇ નિમાવત (ઉ.વ.64, રહે. પટેલ શેરી, ગામ વાઘનગર) શામજી અરવિંદભાઇ યાદવ (ઉ.વ.43, રહે. દેવળીયા, મહુવા)ની ધરપકડ કરી હતી . પોલીસે પકડેલા ચારેય આરોપીઓ મુખ્ય સુત્રધાર રવી અરવિંદભાઇ ગોહિલને ફોન કરી મોબાઇલમાં આંકડા લખાવી, રૂપિયાનો વેપાર કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું.
મારમાર્યો:યુવકે પ્રેમ લગ્ન કરી મિલકતનો ભાગ માંગતા પિતા અને ભાઈએ મારમાર્યો
સિહોર તાલુકાના નવાગામ (મોટા) ગામમાં પરિવારિક વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યાં એક યુવકે પોતાના પિતા અને ભાઈ સામે જ હુમલાની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવનું મૂળ કારણ યુવકે પોતાની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા જે બાદ મિલકતમાં ભાગ માગ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પરિવારજનો વચ્ચે તણાવ ઊભો થયો હતો. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ (મોટા)ના રહેવાસી પંકજભાઈ લાખાભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની સાથે પરિવારથી અલગ રહેતા હતા. એક દિવસ તેઓ કામેથી ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ જણાવ્યું કે તેમના માતા ઘરે આવી ઘરવખરીની વસ્તુઓ પૂછ્યા વગર લઈ ગયા હતા. આ મુદ્દે પંકજભાઈએ પોતાની માતાને જે જોતું હોય તે લઈ જજો કહી દેતા મનદુઃખ પેદા થયું હતું. ત્યારબાદ તેમના પિતા લાખાભાઈ પરમાર અને ભાઈ જયપાલભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ઘરની બહાર આવી મોટે મોટેથી પંકજભાઈ અને તેની પત્નીને ગાળો આપતા થયા, જેથી પંકજભાઈ તેઓને ગાળો આપવાની ના પાડી અને મિલકતમાં ભાગની માંગણી કરી હતી. તે વાતને લાખા પરમાર અને જયપાલ પરમારએ લોખંડના પાઈપ તથા ઢીકાપાટાથી પંકજભાઈ અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેઓએ પોતાના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેર કરી છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. જેને લઈને પણ વિવાદ થયો છે, તેની સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. આ વિવાદ વચ્ચે દિવ્ય ભાસ્કરે અંકિતા પરમાર સાથે વાત કરી અને તેમની જિંદગી અને રાજકીય સફર અંગે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે. જિલ્લા પંચાયતની ટિકિટ મળવા અંગે અંકિતા પરમારે જણાવ્યું કે, સૌપ્રથમ હું પાર્ટી, ધારાસભ્યો, સંગઠન પ્રમુખ અને જનતાનો આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતમાં જવાબદારી મળ્યા બાદ હવે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે, ત્યારે પ્રયત્ન કરીશ કે તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી, તેના કરતાં બમણી તૈયારી કરીને વધુ વિકાસના કામો થાય તેવા પ્રયાસ કરીશ. દાવેદાર નયના પરમારના પતિએ ટિકિટ આપવાના કરેલા વિરોધ અંગે કહે છે કે, નયનાબેન મારા બેન સમાન છે.એ પણ ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે. મારો પૂરો પ્રયાસ રહેશે કે, બેનને મનાવી લઈશ અને અમે સાથે મળીને વિકાસના કામો કરીશું. લોકશાહીનો જ્યારે પર્વ ચાલી રહ્યો હોય, ત્યારે પાર્ટી મેન્ડેટ આપતી હોય છે, ચૂંટણી લડવાની બધાની ઈચ્છા હોય છે, પણ પાર્ટી એકને જ મેન્ડેટ આપી શકે છે. એ તક મને મળી છે. નયનાબેન સર્વશ્રેષ્ઠ છે. હું એમ માનું છું કે, મને ટિકિટ મળી એટલે એમ નથી કે હું જ સર્વશ્રેષ્ઠ છું. હું એમને કાયમ સાથે લઈને જ ચાલવાની છું. રીલ્સ બનાવવા અંગે પાર્ટીમાંથી કોઈ ઠપકો કે સૂચન મળ્યું છે કે, કેમ? તે અંગે કહે છે, સ્વાભાવિક છે કે, હું પહેલા રીલ બનાવતી. જ્યારથી પાર્ટીમાં જોડાઈ છું, ત્યારથી પાર્ટીમાં જ કામ કરું છું અને પાર્ટીની રીલ્સ અપલોડ કરું છું અને એ મારો પર્સનલ વિષય છે. ‘પહેલાં મોડલિંગ ઓફર મળી ચૂકી છે’ફિલ્મ કે મોડલિંગની ઓફર આવવા અંગે કહ્યું કે, હાલ પૂરતી કોઈ ઓફર નથી, અગાઉ ઓફર મળી હતી, પણ હું એ ઓફરને અસ્વીકાર્ય કરું છું. મારું સંપૂર્ણ ધ્યાન પોલિટિક્સ પર છે અને લોકોની સેવા કરવા પર છે. PM મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, ક્યારેક મળવાની તક મળે. મોદીજી મળે તો મહિલાઓ અને દીકરીઓ માટે એમણે જે વિચાર્યું છે. મહિલાઓ સ્વતંત્ર થઈ છે. તેના માટે આભાર વ્યક્ત કરીશ. ‘આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે’ટ્રોલિંગ અંગે કહે છે, સોશિયલ મીડિયા પર નેગેટીવ અને પોઝિટિવ વાતો થાય છે. આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે. હું હંમેશા સોશિયલ મીડિયા પરથી સારી વાતો જ લઉં છું. ‘મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે’પરિવાર અને એજ્યુકેશન અંગે કહ્યું-હું પોર ગામની વતની છું અને મારો જન્મ વડોદરામાં થયો છે અને તે મારું પિયર છે. મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે.ત્યારબાદ હું પણ ભાજપમાં જોડાઈ. મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. ‘સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી’સંઘર્ષ અંગે કહ્યું કે, સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી. કોઈપણ વસ્તુ મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. મારો જન્મ વડોદરામાં થયો અને લગ્ન પછી હું પોર ગામમાં રહેવા આવી. સાસરીમાં હું દીકરી તરીકે રહી છું. પોતાના ડ્રીમ અંગે કહ્યું કે, મારું ડ્રીમ વધુને વધુ મહિલાઓને ઇન્ડિપેડેન્ટ બનાવવાનું છે. ભારત આમ તો પુરુષ પ્રધાન દેશ છે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે, ભારત મહિલા પ્રધાન દેશ તરીકે ઓળખાય.'હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે ભાજપ નેતામાંથી કઈ ઓળખ વધુ પસંદ છે, તેના અંગે કહ્યું કે, મારી ઈમેજ બનાવવાની સાથે સાથે હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું. કોઈ એવું કામ નથી કે જે મહિલા કે દીકરી ન કરી શકે. હાલ હું પ્રજાલક્ષી કામો કરવા પર ફોકસ કરી રહી છું, પાર્ટી આગળ જે જવાબદારી આપશે તે હું નિભાવતી રહીશ.
ભરતી:GSSSBમાં 90 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 90 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ છે. આ માટે 13 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો https;/ojas.gujarat. gov.in પર જઈ અરજી કરી શકાશે. મંડળની વેબસાઈટ www.gsssb.guj.gov.in પર આ પોસ્ટની ભરતીની વિગતો મૂકવામાં આવી છે. જેના માટે નિર્ધારિત કરેલી ડિપ્લોમા ઈન આયુર્વેદિક નર્સીંગની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. આ ઉપરાંત કમ્પ્યુટર નોલેજની જાણકારી પણ આવશ્યક છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દીની ભાષાની જાણકારી પણ જરુરી છે. 18થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવી છે, જ્યારે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને માટે 400 રૂપિયા એપ્લિકેશન ફી નિર્ધારિત કરાઈ છે. સ્ટાફ નર્સ (આયુર્વેદ)ની પોસ્ટ માટે પાંચ વર્ષ માટે 40,800નો ફિક્સ પગાર નક્કી કરાયો છે. 90 સ્ટાફ નર્સની ભરતી માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .
GSEB:ગુજકેટમાં રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને 2 માર્ક અગાઉથી મળી ગયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જે મુજબ એકમાત્ર રસાયણ વિજ્ઞાનમાં જવાબમાં સુધારો થતા પ્રોવિઝનલ આન્સર કીમાં થયેલા ફેરફાર સાથે માત્ર રસાયણ વિજ્ઞાનની ફાઈનલ આન્સર કી મુજબ હવે પરીક્ષાર્થીઓને બે માર્ક અગાઉથી મળી ગયા છે અને એક પ્રશ્નમાં બે પૈકી એક વિકલ્પ સાચો ગણાશે. પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની જાહેર કરવામાં આવી હતી અને 8 એપ્રિલ સુધી પ્રોવિઝનલ આન્સર કી અંગેની રજૂઆતો ઈ-મેલ મારફત સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ વિષયના નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરાયા બાદ એક માત્ર રસાયણ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક જ પ્રશ્નના જવાબમાં સુધારો થતા આ ફેરફાર કરાયો છે અને હવે રસાયણ વિજ્ઞાનમાં ફાઇનલ આન્સર કી મુજબ બે પ્રશ્નોમાં એક એક ગુણ તમામ વિદ્યાર્થીઓને મળી ગયો છે જ્યારે એક પ્રશ્નમાં બે વિકલ્પ છે તે પૈકી કોઈપણ એક વિકલ્પ સાચો ગણાશે. ગણિત, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન ની આન્સર કીમાં કોઈ પણ ફેરફાર થતો નથી તેથી તે વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જ ફાઈનલ આન્સર કી રહેશે તેની ગુજકેટના વિદ્યાર્થીઓને નોંધ લેવા ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.
સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં આ વર્ષે ધોરણ 1 થી 8 માં પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ બાલવાટિકા તેમજ ધોરણ એક બે માં પરિણામ પત્રકને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ શાળા કક્ષાએ અપાશે. જ્યારે ધોરણ ત્રણથી આઠમાં પરિણામ પત્રક અપાશે. પણ તે શાળા કક્ષાને બદલે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર કરીને અપાશે અને જે તે શાળા તેને ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને પરિણામ પત્રક તરીકે વિતરિત કરશે. આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 3થી 8માં શાળા મુજબ પરિણામ પત્ર તૈયાર કરીને આપવાને બદલે અત્યારે જ્યારે વાર્ષિક પરીક્ષા શરૂ છે ત્યારે જ જેમ જેમ જે તે વિષયના પેપર પૂર્ણ થતા જાય તે મુજબ તે વિષયના વિદ્યાર્થીઓના ઓનલાઇન માર્ક અપલોડ કરી દેવામાં આવે છે અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના પરિણામ પત્ર રાજ્ય કક્ષાએ જાહેર કરવામાં આવશે. બાદમાં જે તે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓના પરિણામ પત્ર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે તેવું આયોજન છે. અત્યારે ધારો કે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર સમાપ્ત થયું તો તેની ચકાસણી કરીને માર્ક ઓનલાઇન મૂકી દેવામાં આવે છે જેથી રાજ્યકક્ષાએ પરિણામ તૈયાર થતું થાય અને આ તમામ વિષયનું પરિણામ એપ્રિલ માસના અંત સુધીમાં આપી દેવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2માં પોલિસ્ટિક કોંગ્રેસ કાર્ડ ફાઉન્ડેશનલ સ્ટેજનો અમલ કરવાનો નિર્ણય પ્રાથમિક નિયામક શિક્ષણની કચેરી અને જીસીઈઆરટી દ્વારા કરવામાં આવ્યો છે. નથી સમગ્ર શિક્ષા મારફત તમામ શાળાના બાળક દીઠ પોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પહોંચાડવામાં આવેલ છે અને આ બાબતે ઓન એર તાલીમ પણ આપવામાં આવી છે હવે બાળકોને 2025-26 માટે વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્રને બદલે ધોરણ 1 અને ધોરણ 2 તેમજ બાલવાટિકામાં હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ આપવામાં આવશે. નોલેજ : શું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ?રાષ્ટ્રીય કક્ષાએ 360 ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરાયા બાદ હવે સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે. આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઇને ભાવનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે ગાળિયો કસ્યો છે. ભાવનગર એલ.સી.બી.એ છેલ્લા ચોવીસ કલાકમાં 2700 કિ.મી. જેટલું અંતર કાપીને સત્તરથી વધુ વર્ષથી ફરાર થયેલા જુદા જુદા ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને ભાવનગર પોલીસે દબોચી લીધા છે. ભાવનગર પોલીસના ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુધી પહોંચવા સફળતા મળી છે. ભાવનગરના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશન, સગીરાનું અપહરણ તેમજ સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને અનેક વર્ષોથી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે થઇને ભાવનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ભાવનગર એલ.સી.બી. પોલીસે ફરાર થઇ ગયેલા ચાર આરોપીઓને પકડવા માટે જુદી જુદી ચાર ટીમો બનાવી વીસેક જેટલા પોલીસ કર્મચારીઓ મહારાષ્ટ્રના નાસીક, મધ્યપ્રદેશ, ચીખલી અને ગઢડા ખાતે જઇને ચાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલ હેમલ કાંતિલાલ ભટ્ટ (રહે. ચમારડી, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) ને મહારાષ્ટ્રના નાસીક ખાતેથી તેમજ પ્રોહીબીશનના ગુનામાં સત્તર વર્ષથી ફરાર નાનાજી ઉર્ફે તાનાજી ભદુરભાઇ રોઝ (રહે. રૂપાખેડા ગામ, માળી ફળિયું, કંજવાણી આઉટ પોસ્ટ, રાણપુર)ને મધ્યપ્રેદશ ખાતેથી અને દુદારામ ઉર્ફે મહાવિર મારવાડી (રહે.રાધેકૃષ્ણ મંદિર પાસે, તા.વાલોદ, જી.તાપી)ને નવસારીના ચીખલી ખાતેથી ઝડપી લીધો હતો. તદ્દઉપરાંત સગીરાના અપહરણ કેસમાં વિક્રમભાઇ સોમાભાઇ નાયક (રહે.અભરામ પટેલના મુવાડા તા.જી.ગોધરા) ને ઝડપી લીધા હતા. વેશપલ્ટો અને ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપી લીધાભાવનગર પોલીસે મધ્યપ્રેદશના આરોપીને પકડી પાડવા માટે થઇને વેશપલ્ટો ધારણ કર્યો હતો જેમાં પોલીસે સાયકલ ચલાવી મજુરનો વેશ ધારણ કર્યો હતો તેમજ મહારાષ્ટ્રના નાસીક ખાતેથી આરોપીને પકડવા માટે થઇને ફિલ્મી સ્ટાઇલે ધરપકડ કરી હતી.
પાર્કિન્સન દિવસ વિશેષ:પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 %વધ્યા
ભારત સહિત વિશ્વમાં દર વર્ષે તા.11મી એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસ ઉજવવામાં આવે છે. જેમણે સૌ પ્રથમ વખત પાર્કિન્સન રોગ વિશે વિશ્વને માહિતગાર કર્યા તેવા ફ્રાંસના ન્યૂરોલોજીસ્ટ ડો.જેમ્સ પાર્કિન્સના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે પાર્કિન્સન એક ન્યુરોલોજિકલ બીમારી છે ત્યારે આ વર્ષે સાથે મળીને આપણે કરી શકીએ છીએની થીમ સાથે કાલે તા.11મી એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણીમાં લોકોમાં જાગૃતિ વધે તેવા કાર્યક્રમો યોજાતા હોય છે. સ્થાનિક ભાવનગર સર ટી. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં સરેરાશ આંક મુજબ વર્ષે 77 અને મહિને 6 નવા કેસ સાથે પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 ટકાનો વધારો થયો છે. ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર ટી. હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં પાર્કિન્સન સહિતના વિવિધ પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. સર ટી.ની મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં વિવિધ સમસ્યાથી પીડિત વર્ષ-2024માં 108607 દર્દીઓ અને વર્ષ-2025માં 139383 દર્દીઓની કરાયેલી સારવારમાં વર્ષ-2024માં 77 અને વર્ષ-2025માં 81 પાર્કિન્સન પીડિત દર્દીઓ આવ્યા હતા. સર ટી. હોસ્પિટલમાં વર્ષ-2023થી 2025 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં દર પાર્કિન્સનના દર્દીઓમાં ટકાવારી મુજબ દર વર્ષે 2.6થી 5.2 ટકાનો વધારો થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રે જટિલ બીમારી કહી શકાય તેવા પાર્કિન્સનના વધતા દર્દીઓ ચિંતાજનક બાબત છે. સર ટી. હોસ્પિટલમાં પાર્કિન્સનના દર્દીઓ (સ્ત્રોત : , સર ટી. હોસ્પિટલ) પાર્કિન્સન મટી ન શકે માત્ર કંટ્રોલમાં લાવી શકાયસર ટી. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં વિવિધ પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જેમાં ન્યુરોલોજિકલ બીમારીમાં ગણાતા પાર્કિન્સનના દર્દીઓ પણ મળી આવતા હોય છે. મેડિસિન વિભાગની ઓ.પી.ડી.ના છેલ્લા ત્રણ વર્ષના આંકડા અનુસાર પાર્કિન્સન પીડિત 233 દર્દીઓ મળ્યા છે ત્યારે સારવારથી પાર્કિન્સન મટી ન શકે માત્ર કંટ્રોલમાં લાવી શકાય છે. — ડો.સુનિલ પંજવાણી, એચ.ઓ.ડી., મેડિસિન વિભાગ, સર ટી. હોસ્પિટલ ભાવનગર મગજમાં ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત બને તો પાર્કિન્સન થાયમગજના ચોક્કસ પ્રકારના ચેતાતંતુઓમાં ક્ષતિને કારણે શરીરમાં ધ્રુજારી કે કંપન કરાવતા રોગનો ભારતીય આયુર્વેદમાં 'કંપવાત' તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનવ શરીરના મધ્ય મગજના 'સબસ્ટૅન્શિયા નાઇગ્રા' વિસ્તારમાં 'પાર્સ કૉમ્પેક્ટા' ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત થઈને નાશ પામવા લાગે ત્યારે આ કોષો દ્વારા નિર્મિત 'ડોપામીન' નામના જૈવરાસાયણનું ઉત્પાદન ઘટી જાય છે. જ્યારે તેનું ઉત્પાદન 80 ટકા જેટલું ઘટી જાય, ત્યારે પાર્કિન્સન્સનાં લક્ષણ દેખા દે છે. જેથી વ્યક્તિના શરીરનું હલનચલન ઘટી જાય છે અને હાથપગમાં ધ્રુજારી કે કંપન તથા સ્નાયુઓમાં કઠોરતા વગેરે લક્ષણ જોવા મળે છે. આ ચિહ્નોની શરૂઆત શરીરની એકબાજુએથી થાય છે અને ધીરે-ધીરે રોગ બંને તરફ પ્રસરે છે.
સંકટ ચતુર્થીની ઉજવણી:નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીએ ભકતોએ સંકટોના નાશ કરવા બાપાને શિશ નમાવ્યા
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે વર્ષની પ્રથમ અને ચૈત્ર માસની સંકટ ચતુર્થીની ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા. ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતી દાદાને લાડુ ધરવામાં આવે છે, પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરવા. 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવે છે. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કરી માનતા રાખી હતી. શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિધ્ધિ માટે ચોથ રાખી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.
ઉમદા સંકલ્પ:પૂજ્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી થેલેસેમિયા મુક્ત ભારત માટે VYOનો મહાસેવાયજ્ઞ
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા સમગ્ર વિશ્વમાં એક કરોડ નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવાના સંકલ્પ સાથે સેવાનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાવનગરમાં એક જ દિવસમાં 500 થી વધુ વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવશે. ખાનગી લેબમાં જે ટેસ્ટનો ખર્ચ 500 થી 900 થાય છે, તે ટેસ્ટ VYO દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી તદ્દન મફત કરવામાં આવશે. આ અભિયાનમાં અત્યાધુનિક HPLC ટેક્નોલોજી દ્વારા સચોટ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ભારતમાં દર વર્ષે 10000 થી 15000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. આ આનુવંશિક બીમારીને અટકાવવા માટે યુવાધનમાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે. તા.13-4નાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટય દિવસે ભાવનગર જિલ્લાનાં ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોરની કોલેજ ખાતે 500થી ટેસ્ટ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં આનંદ વાટીકા ભગીની મંડળ ખાતે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી સવારે 10 થી 1 દરમિયાન ટેસ્ટ કરવામાં આવશે તો શહેરનાં લોકો બહોળી સંખ્યામાં આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ સેવાનો મહાયજ્ઞ એક શુભ દિવસે શરૂ થવા જઈ રહ્યો છે. શ્રી વલ્લભકુળભૂષણ વૈશ્વનવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO સંસ્થા 10 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે. VYOના મેનેજિંગ ટ્રસ્ટી અશોક શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થેલેસેમિયા મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કોલેજો શાળાના વિદ્યાર્થીઓનો સહકાર મહત્વનો છે. ભાવનગરનાં યુવાનો આ સેવાયજ્ઞમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવી સંસ્થા દ્વારા અપીલ કરી છે. ભારતના 46 શહેરોમાં કરાઇ છે માનવતાલક્ષી કાર્યોVYO સંસ્થા 15 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય અને કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે.
ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ અને અક્ષર બ્રહ્મના ઓવારણાં શ્રેણી હેઠળ ચાલી રહેલી કથા શૃંખલા માં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા દરમિયાન વિદ્વાન વક્તા પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ કથા દરમિયાન કહ્યું હતું કે કોઈપણ સંસ્થાનો કાર્યકર એ સંસ્થાનો મજબૂત પાયો છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આદર્શ કાર્યકર કેવો હોવો જોઈએ તેની પ્રેરણા આપતા કહ્યું હતું આદર્શ કાર્યકર ના ગુણો ધર્મ, નિયમ, આજ્ઞા,ઉપાસના અને સત્સંગ ની દૃઢતા વિશે વિસ્તૃતમાં જણાવ્યું હતું. આજે કાર્યકરદિનની નિમિત્તે સવારની પ્રાત:પૂજામાં બાળકો દ્વારા મુખપાઠ અને સાંજની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ધરાવતી સભામાં ભાવનગરની ભાવિક જનતાની હાજરી જોવા મળી હતી. સાંજની સભામાં સંસ્થાના સદગુરુ વર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી અને અક્ષરવાડીના વરિષ્ઠ સંત પૂજ્ય સોમ પ્રકાશ સ્વામીની કથા વાર્તા દરમિયાન ભાવનગરના સત્સંગ મંડળ ના વિકાસની ગાથા, કાર્યકરોની સેવા ભક્તિ સમર્પણ નિષ્ઠા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જણાવ્યું હતું હજુ પણ આગામી બે દિવસ સુધી મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા અને સાંજની સભા નો લાભ ભાવનગરની ભાવિક જનતાને મળી રહેવાનો છે . તા.11.4.26 ના રોજ બાળ દીનની ઉજવણી થશેઅને તારીખ 12 એપ્રિલના રવિવારના રોજ ભાવનગર મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય ભાવનગર મંદિર દ્વિ દશાબ્દી મહોત્સવ પણ ઉજવાશે.
રૂ.50,000 નહીં આપતા મામલો બિચક્યો:નિવૃત્તિના પૈસાની વહેંચણીમાં ઝઘડો, વૃદ્ધાને કુટુંબીઓએ માર્યા
શહેરના ભાંગના કારખાના પાસે આવેલ વાલ્મિકીવાસ માં રહેતા અને મહાનગરપાલિક મા સફાઈ કર્મચારી તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલ મહિલા કર્મચારી હંસાબેન લક્ષ્મણભાઈ સરધારા એ પોતાની નિવૃત્તિના આવેલા પૈસા માંથી તેની ચાર દીકરીઓે તથા તેના દીકરાની દીકરી સહિત પાંચેયને રૂપિયા પચીસ પચીસ હજાર આપવાનું નક્કી કરેલ. પરંતુ તેના દીકરાની દીકરી કિંજલ ને આ પૈસા ઓછા પડતા તેણે ₹25, 000 નહીં પરંતુ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલ. જે બાબતે હંસાબેન એ ના પાડતા હંસાબેન ના પુત્રવધુ ભાવનાબેન તથા તેના પૌત્ર સોહિલ રજનીભાઈ સરધારા અને તેના પત્ની આનંદી સોહિલભાઈ સરધારા ત્રણે એ તેણીની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ તેને ગાળો આપી ભાવનાબેન તથા આનંદી એ હંસાબેન ના વાળ પકડી તેને પછાડી દઈ તેના પૌત્ર સોહીલે તેની પીઠના ભાગે ક્રિકેટ રમવાના બેટ થી મુંઢ માર મારી ખાટલા પર પછાડી દઈ ઇજા પહોંચાડ્યાની તથા મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.
ગરમીમાં વધઘટ યથાવત:બપોરે તાપમાન 4.8 ડિગ્રી સેન્ટિગ્રેડ વધ્યું
ભાવનગર શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાનનો પારો વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો અને ભાવનગરમાં દરરોજ તાપમાનમાં નોંધપાત્ર વધઘટનો સિલસિલો યથાવત રહ્યો હતો. એક જ દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, હતુ. સાંજે પવનની ઝડપ પણ ઘટીને 8 કિલોમીટર નોંધાઇ હતી. આમ, ગરમીનો પ્રભાવ વધ્યો છે. પવનની ધીમી ગતિને કારણે ભેજનું પ્રમાણ વધતાં બફારો પણ વધ્યો હતો. ભાવનગર શહેરમાં ગરમી વધી છે. ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 32.4 ડિગ્રી થઇ ગયુ હતુ પણ આજે બપોર તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળો હવે આક્રમક બની રહ્યો છે. આગામી દિવસોમાં સૂર્ય નારાયણ પોતાનું અસલ સ્વરૂપ દર્શાવશે અને લોકો ગરમીથી પરેશાન થશે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે આજે સાંજે ઘટીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 31 ટકા થઇ ગયું હતુ. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે,
ભાવનગરના મુસાફરોને લાભ:વેકેશનના બે મહિના દર રવિવારે ભાવનગર-હરિદ્વાર ટ્રેન ફાળવાઇ
ઉનાળાના વેકેશનની રજાઓ દરમિયાન મુસાફરો માટે સુવિધા પુરી પાડવા માટે પશ્ચિમ રેલવે કાર્યરત છે, અને આ શ્રેણીમાં ટ્રેન ઓન ડિમાન્ડ યોજના તળે વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026થી મે 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 8-8 ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, ટ્રેન નં. 09271 ભાવનગર ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરેક રવિવારે સવારે 04:25 વાગ્યે પ્રસ્થાન કરીને સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. 09272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન હરિદ્વારથી દરેક સોમવારે સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને ક્યા સ્ટોપેજ અપાયા?સમર સ્પે. હરિદ્વાર ટ્રેનને બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જં., પાળી મારવાડ, લૂની જં., જોધપુર જં., ગોટન, મેડતા રોડ જં., ડેગાના જં., છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જં., ચૂરૂ, સાદુલપુર જં., સિવાની, હિસાર જં., ભિવાની જં., કલાનૌર કલાં, રોહતક જં., પાનીપત જં., અંબાલા કેન્ટ જં., સહારનપુર જં. તથા રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. સમયસર સમર સ્પેશિયલ ટ્રેનો ઘોષિત થતી નથીભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન એપ્રિલ અને મે મહિનામાં દોડાવવાની ઘોષણા રેલવે તંત્ર દ્વારા શુક્રવારે બપોરે કરવામાં આવી હતી અને તેનું બુકિંગ શુક્રવારે જ સાંજે 5 કલાકથી શરૂ કરી દેવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેનોની ઘોષણા જો માર્ચ માસ દરમિયાન તંત્ર દ્વારા કરી દેવામાં આવે તો વેકેશન માટે પ્લાનિંગ કરવામાં મુસાફરોને અનુકુળતા મળી શકે તેમ છે.
આજે પાર્કિન્સન્સ દિવસ:કંપવાના દર્દીને સહકાર, સમજ અને સહાનુભૂતિ અસરકારક
તા. 11 એપ્રિલના દિવસને વિશ્વભરમાં વિશ્વ પાર્કિન્સન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાર્કિન્સન્સ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ (મગજને લગતો) રોગ છે, જેમાં મગજના કોષો ધીમે ધીમે અસરગ્રસ્ત થવા લાગે છે. પરિણામે, શરીરના હલનચલનમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે હાથ કે પગમાં ધ્રુજારી, ચાલવામાં મુશ્કેલી, જકડન, ક્રિયાઓ ધીમી પડી જવી, સંતુલન ગુમાવવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ પાર્કિન્સન્સ માત્ર હલન-ચલનનો જ રોગ નથી — તેમાં નોન-મોટર લક્ષણો પણ એટલા જ મહત્વપૂર્ણ છે, જેમ કે ઉદાસીનતા, ઊંઘમાં ખલેલ, થાક, યાદશક્તિમાં ઘટાડો અને ચિંતાની સમસ્યાઓ જોવા મળે છે. સહકાર, સમજણ અને સહાનુભૂતિ — આ ત્રણ બાબતો કોઈપણ દવા કરતાં વધારે અસરકારક બની શકે છે. 92 વર્ષે પણ પીએનઆર સોસાયટીમાં સેવારત બાબાભાઈ શાહ જણાવે છે કે, આજના સમયમાં અનેક પાર્કિન્સન્સ દર્દીઓ સુધી યોગ્ય સારવાર, માર્ગદર્શન અને સહાય પહોંચતી નથી. આ અંતરને ઘટાડવું — એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. અમારી સંસ્થા આ માટે કામ કરી રહી છે. ભાવનગરમાં BKPPDMDS અને PNR Societyના સંયુક્ત ઉપક્રમે ચાલતા પાર્કિન્સન્સના સેન્ટરના ભાવીન માંડવીયા જણાવે છે, ભાવનગરમાં પાર્કિન્સન્સના દર્દીઓ આ સેવાનો છેલ્લા 13 વર્ષ થી લાભ લઇ રહ્યાં છે. આ માટે દર રવિવારે સવારે 10.30 કલાકે, અંધ ઉદ્યોગ શાળા, PNR SOCIETY ખાતે સેશન લેવામાં આવે છે તેમ જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ જણાવ્યું હતું. આપણે નાના પ્રયત્નોથી મોટા ફેરફાર લાવી શકીયે સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ ઉપયોગી સાબિતકંપવા નામથી જાણીતા આ પાર્કિન્સન્સ રોગના દર્દીઓ માટે ગુજરાત અને પુણેમાં કાર્યરત બી. કે. પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી (BKP-PDMDS) છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, કાઉન્સેલિંગ, આર્ટ-ડાન્સ થેરાપી અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને સશક્ત બનાવવાનું કામ કરે છે.
રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બુટલેગરો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેર નજીક ઢાંઢીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જ્યારે વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ પોલીસની ટીમે દરોડો પાડીને રૂ. 32.16 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાજકોટના લિસ્ટેડ બુટલેગર આનંદ ઉર્ફે બાબુએ મંગાવેલો આ જથ્થો સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરવામાં આવે તે પહેલા જ પોલીસે બાજી પલટી નાખી હતી અને 3 શખસોને ઝડપી લીધા હતા, તેમજ ફરાર થઇ ગયેલા લિસ્ટેડ બુટલેગર સહિત 3ની શોધખોળ આદરી છે. એએસઆઈ સમીરભાઈ શેખ અને તેમની ટીમને પાકી બાતમી મળી હતી કે ઢાંઢીયા ગામની સીમમાં એક આઈશર ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે કોર્ડન કરીને દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડાની વિગત: શું શું ઝડપાયું? ઝડપાયેલા આરોપીઓ રાજકોટના ‘બાબુ’ સહિત 3ની શોધખોળદારૂનો જથ્થો રાજકોટના કુખ્યાત બુટલેગર આનંદ ઉર્ફે બાબુ રણછોડ પરમારે મંગાવ્યો હતો. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને આનંદ ઉર્ફે બાબુ, આઈશરનો ડ્રાઈવર અને સ્વિફ્ટ કારનો ચાલક નાસી છૂટ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટની સેવાભાવી સંસ્થા સરગમ ક્લબ દ્વારા નવા વર્ષ માટેના સભ્યોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટવાસીઓએ સભ્ય બનવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. સરગમ જેન્ટ્સ ક્લબ, લેડીઝ ક્લબ, સીનીયર સિટીઝન ક્લબ, કપલ ક્લબ, ચિલ્ડ્રન ક્લબ અને ઇવનિંગ પોસ્ટમાં થઈને કુલ 11 હજારથી વધુ સભ્યોની નોંધણી થતા, હવે વ્યવસ્થાના ભાગરૂપે નવી નોંધણી બંધ કરવામાં આવી છે. નવા નોંધાયેલા સભ્યો માટે સંસ્થા દ્વારા વિવિધ મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક ‘હરખ પદુડી હંસા’ના શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રોડ્યુસર આસિફ પટેલ અને દિગ્દર્શક જયદીપ શાહ છે. આ ઉપરાંત, સરગમ ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ખાસ ‘ત્રિપલ બોનાન્ઝા’ ભેટ રાખવામાં આવી છે, જેમાં બાળકો માટે ક્રિશ્ના વોટર પાર્કની મુલાકાત, ફિલ્મ શો અને ફનવર્લ્ડની પિકનિકનો સમાવેશ થાય છે. રાજકોટની બહેનોને આત્મનિર્ભર અને પગભર કરવાના હેતુથી સરગમ લેડીઝ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસ આગામી તા.5 મેથી ત.15 મે દરમિયાન દરરોજ બપોરે 5થી 7 વાગ્યા સુધી રૈયા રોડ પર આવેલી સરગમ સંચાલિત અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ ખાતે યોજાશે. આ તાલીમ વર્ગોમાં પેઈન્ટિંગ, ડાન્સ, સ્પોકન ઈંગ્લીશ અને ફોક ડાન્સ જેવા 16 જેટલા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
પરીક્ષાખંડમાં સુપરવાઈઝરની હાજરી હોવા છતાં ‘ચૂપકે-ચૂપકે’ વાતો કરવી કે આજુબાજુમાં પૂછીને પેપર લખવું હવે ભૂતકાળ બની ગયું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ સુપરવાઈઝરની નજર બચાવીને ગેરરીતિ કરતા હતા, તેમને CCTV કેમેરાએ ઝડપી પાડ્યા છે. સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 95 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ નોંધી તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની ડીવીડી તપાસવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક પરીક્ષાર્થીઓ સુપરવાઈઝર જ્યારે બીજી તરફ હોય ત્યારે અંદરોઅંદર વાતચીત કરતા, ઇશારા કરતા અને પાછળના વિદ્યાર્થીના પેપરમાં ડોકિયું કરતા કેમેરામાં કેદ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી હરકતો છતાં ક્લાસમાં હાજર સુપરવાઈઝરને આ બાબત ધ્યાને આવી નહોતી. હવે શું થશે - બોર્ડની સમિતિ ફેંસલો કરશેશિક્ષણાધિકારીની ટીમ દ્વારા આ તમામ 95 વિદ્યાર્થીઓનો અહેવાલ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગર બોર્ડની શિસ્ત સમિતિ હવે નક્કી કરશે કે આ વિદ્યાર્થીઓને કેટલી સજા કરવી. શંકાસ્પદ ‘કોપીબાજ’ 500થી વધુ CDનું સ્કેનિંગ, શિક્ષકોની ટીમે એક-એક સેકન્ડના ફૂટેજ ફંફોસ્યાબોર્ડની પરીક્ષામાં ગેરરીતિ પકડવા માટે રાજકોટ શિક્ષણ વિભાગે આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. ન્યુ એરા સ્કૂલ અને ધોળકિયા સ્કૂલની હાઈટેક કોમ્પ્યુટર લેબને તપાસ કેન્દ્ર (વોર રૂમ)માં ફેરવી દેવામાં આવી હતી. શિક્ષકોની આ ‘ડિજિટલ ડિટેક્ટિવ’ જેવી કામગીરીને કારણે જ સુપરવાઈઝરો જે ભૂલ નહોતા પકડી શક્યા, તે હવે બોર્ડ સમક્ષ પુરાવા સાથે રજૂ કરવામાં આવી છે. શિક્ષકો અને ટેકનિકલ નિષ્ણાતોના કાફલાએ રાજકોટ શહેર અને જિલ્લાના કેન્દ્રો પરથી આવેલી 500થી વધુ સીડી (CD) નું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ક્લાસરૂમમાં સુપરવાઈઝરની નજર ચૂકવીને વિદ્યાર્થીએ ક્યારે ડોકિયું કર્યું કે ક્યારે ઈશારો કર્યો, તેની એક-એક સેકન્ડની હિલચાલને શિક્ષકોએ રીવાઈન્ડ કરી કરીને તપાસી હતી. સતત દિવસ-રાત ચાલેલી આ કવાયત બાદ અંતે 95 એવા વિદ્યાર્થીઓ મળી આવ્યા જેમના પુરાવા કેમેરામાં કેદ હતા.
વેધર રિપોર્ટ:મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું, બપોરે ગરમી, રાત્રે ઠંડી ની અનુભૂતી
પોરબંદરમાં મહતમ તાપમાન 33.8 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા યથાવત રહ્યું છે, જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું છે ત્યારે સવાર થી સાંજ સુધી ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પોરબંદરમાં સવારે ગરમી અને બપોરે વધુ ગરમીનો અનુભવ થાય છે જ્યારે સાંજે ઠંડક પ્રસરે છે અને મોડી રાત્રે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળા દરમ્યાન શહેરીજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા રહ્યું હતું જેની સામે શુક્રવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા યથાવત રહ્યું છે પરંતુ પોરબંદરમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું છે.જેને પગલે ઠંડી અનુભવાઇ રહી છે.
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકામાં મોટાભાગના ઘુરઘરોની ટિકિટ કપાતા અસંતોષનો જોવા મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા માં 40 ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 14 ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 16 ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 10 ઉમેદવારો અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 12 નવા ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે તો ભાજપ દ્વારા શુકવારે રાત સુધી પોરબંદર જિલ્લા પંચાયતની એક,પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ અને કુતિયાણા તાલુકા પંચાયતની 2 બેઠકોના ઉમેદવારો નામો જાહેર કરાયા નથી. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી,કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં ભાજપ દ્વારા શુકવારે આખો દિવસ ઉમેદવારોની યાદી જાહેર કરવાને બદલે રાતે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં જેમાં મહાનગરપાલિકામાં મોટાભાગના ઘુરઘરોની ટિકિટ કપાતા અસંતોષનો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરેલ મનપાના ઉમેદવારોમાંથી 40 નવા ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 14 નવા ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 16 નવા ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 10 નવા ઉમેદવારો અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 12 નવા ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે. તો ભાજપ દ્વારા શુકવારે રાત સુધી પોરબંદર જિલ્લા પંચાયતની એક,પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ અને કુતિયાણા તાલુકા પંચાયતની 2 બેઠકોના ઉમેદવારો નામો જાહેર કરાયા નથી. જુના સદસ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું પોરબંદર મહાનગરપાલિકાની ટીકીટ જાહેરાત સમયે અનેક જુના સદસ્યોને ટીકીટ કપાવાની ગંધ આવી જતા કપાયેલા જુના જોગીઓ ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અનેક રાજકીય નેતાને ફોન ઘુમાવ્યા હતા. મોટાનેતાના નજીકના સદસ્યને ટિકીટઅપાવવા સાંજ સુધી લિસ્ટ જાહેર ન થયુંપોરબંદર મહાનગરપાલિકાના એક વિસ્તારના પૂર્વે સદસ્યની ટીકીટ કપાઈ છે ત્યારે આ સદસ્ય એક મોટા નેતાના નજીક હોવાથી સાવરથી સાંજ સુધી જોર લગાવ્યું હતું જેને લઈને મનપાના ઉમેદવારનું લિસ્ટ સાંજ સુધી જાહેર થયું ન હતું. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકીટ કપાઈ ભાજપ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા ઉમેદવારો જાહેર કરેલ લિસ્ટમાં 40 જેટલા ધુરધરોના નામ કાપી નાખવામાં આવ્યા છે જેમાં પોરબંદર નગરપાલિકા પૂર્વે પ્રમુખ સરજુ કારીયા,પંકજ મજીઠિયા, અશોક ભદ્રેચા સહિતના ટીકીટ કપાઈ છે.
બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા બાદ પેપર ચકાસણી અલગ અલગ જિલ્લામાં ફાળવવામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરવામાં આવી રહી હતી.પોરબંદર જિલ્લામાં પણ 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકો દ્વારા 39,050 પેપરની ચકાસણી કરવામાં આવી છે. તાજેતરમાં માર્ચ માસના પ્રારંભે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ થઈ છે.ત્યારે આ પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીની કામગીરી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી માટે અલગ અલગ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની પણ ફાળવણી કરવામાં આવી હતી.જેમાં પોરબંદર જિલ્લામાં પણ માધવપુર ખાતે તેમજ પોરબંદર શહેરના નવયુગ સ્કૂલ,બાલુબા સ્કૂલ અને એમ.ઇ.એમ સ્કૂલ ખાતે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં આવતા પેપરની ચકાસણી માટે પોરબંદર જિલ્લામાંથી અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી હતી.આ કેન્દ્રમાં 4 શિક્ષકોની ટીમ વચ્ચે 144 પેપર ચકાસણી માટે આપવામાં આવે છે.આ શિક્ષકો દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,050 પેપરોની ચકાસણી કરવામાં આવી છે. ક્યાં વિષયના પેપરની ચકાસણી થાય છે પોરબંદર જિલ્લામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધોરણ 12ના ગુજરાતી,અંગ્રેજી,મનો વિજ્ઞાન, તત્વજ્ઞાન, સંસ્કૃત, ભૂગોળ, સમાજશાસ્ત્ર, એચ.પી.સી.સી, વાણિજ્ય, આંકડાશસ્ત્ર, નામું અને ધોરણ 10ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ગણિત વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.
પોરબંદર મનપાની ચૂંટણી જાહેર થતા વોર્ડ દીઠ મતદારો અને મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. પોરબંદરમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડમાં મતદાન યોજાશે. તંત્ર દ્વારા દરેક વોર્ડ દીઠ મતદારોની સંખ્યા અને મતદાન મથકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે ત્યારે પોરબંદરમાં વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15473 મતદારો નોંધાયેલ છે જ્યારે સૌથી ઓછા મતદારોની સંખ્યા વર્ડ નંબર 10માં 9528 મતદાર નોંધાયેલ છે. 13 વોર્ડમાં કુલ 191 મતદાન મથકો જાહેર કર્યા છે. મતદાન મથકોની સંખ્યા વોર્ડ વાઈઝમહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં 17 મતદાન મથક, વોર્ડ નંબર 2માં 16 મતદાન મથક, વોર્ડ નંબર 3માં 18, વોર્ડ નંબર 4માં 14, વોર્ડ નંબર 5માં 13, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 14, વોર્ડ નંબર 8માં 15, વોર્ડ નંબર 9માં 14, વોર્ડ નંબર 10માં 11, વોર્ડ નંબર 11માં 12 અને વોર્ડ નંબર 12માં 14 મતદાન મથક અને વોર્ડ નંબર 13માં 15 મતદાન મથક જાહેર કર્યા છે. વોર્ડ વાઇઝ કુલમતદારોની સંખ્યામનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં મતદારોની સંખ્યામાં વોર્ડ નંબર 1માં15473, વોર્ડ નંબર 2માં 14858, વોર્ડ નંબર 3માં 15405, વોર્ડ નંબર4માં 12046, વોર્ડ નંબર 5માં 10844, વોર્ડ નંબર 6માં 14115, વોર્ડનંબર 7માં 12116, વર્ડ નંબર 8માં 13980, વોર્ડ નંબર 9માં 11424,વોર્ડ નંબર 10માં 9528, વોર્ડ નંબર 11માં 11529, વોર્ડ નંબર 12માં12114 અને વોર્ડ નંબર 13માં 13324 મતદારો નોંધાયેલ છે.
છેતરપિંડી:માંડવા ગામના પ્રૌઢ સાથે પોરબંદરના શખ્સે રૂ.37 લાખની છેતરપિંડી આચરી
કુતિયાણાના માંડવા ગામે રહેતા પ્રૌઢને પોરબંદરના આરોપીએ પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા હોવાની ખોટી માહિતી આપી હતી અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પ્રૌઢની દિકરી અને ભત્રીજા સહિત કુલ 4 વિધાર્થીના રૂ.40 લાખ ખર્ચે થશે તેમ જણાવી રકમ મેળવી લીધી હતી અને નોકરી ન અપાવી છેતરપિંડી આચરી હતી જે અંગે ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના માંડવા ગામે રહેતા જગમાલભાઈ કાનાભાઈ વરૂ નામના પ્રૌઢને પોરબંદરના બોખીરામાં રહેતો મૌલિક હરીશ મોઢા નામના શખ્સે પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા હોવાની ખોટી માહિતી આપી હતી. પ્રૌઢની દીકરી તથા તેના ભત્રીજા મળીને 4 વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી, એક વિદ્યાર્થીના રૂ.10 લાખ એમ 4 વિદ્યાર્થીનો રૂ. 40 લાખ ખર્ચ થશે તેમ જણાવી રૂ.40 લાખ માંગ્યા હતા. પ્રૌઢે આરોપીના વિશ્વાસમાં આવીને તા.19/2/2022માં બેંક આરટીજીએસ મારફત, આંગણીયા મારફત કુલ 40 લાખ આપ્યા હતા. તેમાંથી આરોપીએ માટે રૂ.3 લાખ પરત આપેલ હતા બાકીની રકમ અત્યાર સુધી પરત આપી ન હતી. આરોપીએ ચારેય વિદ્યાર્થી માંથી એકપણ વિદ્યાર્થીને સરકારી નોકરીનો ઓર્ડર અપાવ્યો ન હતો. આમ આરોપીએ પ્રોઢ અને વિદ્યાર્થીઓને ખોટો વિશ્વાસ અપાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મૌલિક હરીશ મોઢા સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.જગમાલભાઈ કાનાભાઈ વરૂએ 23 વર્ષ સુધી માંડવા ગામે સરપંચ તરીકે સેવા આપેલ છે. 2021માં ભાદર નદીના કાંઠે આવેલ જમીનમાં વીજ પોલ નાખવાના વળતર બાબતે ખેડૂતો દ્વારા પ્રાંત કચેરી કુતિયાણા ખાતે પ્રોઢ હાજર હતા
મનપાની લાલઆંખ:નટવર ચોક શાકમાર્કેટ વિસ્તારમાં 16લોકો પાસેથી રૂ.1600નો દંડ વસૂલાયો
પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત મનપાના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નટવર ચોક શાકમાર્કેટ વિસ્તારમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર કુલ 16 વ્યક્તિની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ.1600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર ઢાંકીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ આવી કામગીરી વધુ કડક રીતે ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં નગરજનો સહકાર આપે તેવી અપીલ કરી છે. માર્ચમાં 128 સામે દંડ, રૂ.64,350 વસૂલાયા મનપાના સેનિટેશન વિભાગે ગત માર્ચ દરમિયાન સઘન ચેકિંગમાં 128 વેપારીઓ-વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી રૂ.64,350 વસૂલ્યા. 45 વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે રૂ.33,500 દંડ સાથે 649 કિલો જપ્ત કરાયું હતું, જ્યારે ગંદકી ફેલાવનાર 83 પાસેથી રૂ.30,850 વસૂલાયા હતા.
63,000નો મુદ્દામાલ જપ્ત કરાયો:પંચેશ્વર મંદિર પાછળ દેશી દારૂની ફેક્ટરી ઉપર દરોડો
હવે દારૂની પ્રવૃત્તિને ડામવા પેરોલ ફર્લો સ્ક્વોડે પણ મેદાને આવી શહેરના પંચેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા કાળવા વોકળામાં ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી 63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી નાસી છૂટ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, પંચેશ્વરમાં રહેતો દેવા મોરી નામનો શખ્સ કાળવા વોકળામાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. વોકળાના કાંઠે દરોડો પાડતા ચાર મોટા પતરાના બોઈલર બેરલ મળી આવ્યા હતા, જેમાં દારૂ બનાવવાનો ગરમ આથો ઉકળી રહ્યો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા જમીનમાં દાટેલા અને બહાર રાખેલા કુલ 8 બેરલ હાથ લાગ્યા હતા, જેમાં દેશી દારૂ બનાવવાનો રૂપિયા 50,2000 લિટર આથો ભરેલો હતો. પોલીસે 14,000નો 70 લિટર તૈયાર દેશી દારૂ અને 3,000ની કિંમતના ભઠ્ઠીના સાધનો સહિત 67 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દેવા લખમણ મોરીને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહી:દારૂ કેસમાં 2 વર્ષથી ફરાર રાજકોટનો આરોપી મજેવડી દરવાજેથી ઝડપાયો
15 બોટલ દારૂ કેસમાં 2 વર્ષથી ફરાર રાજકોટના આરોપીને પોલીસે મજેવડી દરવાજેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. શહેરમાં નહેરુ પર સોસાયટીમાં આવેલ ચાણક્ય એ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 707માં રહેતા વિપુલ કિરીટભાઈ ઝાંઝમેરીયાને તેના વિસ્તારમાંથી ગત તા. 26 જૂન 2024ના રોજ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 6000 ની કિંમતના ઇંગ્લિશ દારૂની 15 બોટલ સાથે પકડી પાડી રૂપિયા 6500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં સુરેશ સિંધી પાસેથી દારૂ વેચાણ અર્થે લીધો હોવાનું જણાવતા બી ડિવિઝનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી સુરેશ છેલ્લા બે વર્ષથી નાસતો કરતો હતો. દરમિયાન હાલ રાજકોટમાં આરકે પાર્ક રેલનગરમાં રહેતો 43 વર્ષીય આરોપી સુરેશ પ્રહલાદ અમરાણી શહેરમાં મજેવડી દરવાજા પાસે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલની ટીમે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
માંગરોળના મેખડીની ઘટના:માતાએ પૈસા નહિ આપતા પુત્રએ પાવડાના હાથા વડે ધોકાવી નાંખ્યો
માંગરોળ તાલુકાના મેખડી ગામે એક કલિયુગી પુત્રએ પોતાની સગી જનેતા પાસે પૈસાની માંગણી કરી, તે ન મળતા પાવડાના લાકડાના હાથા હુમલો કર્યો હતો. મેખડી ગામે શીતળા માતાના મંદિરની બાજુમાં રહેતા 47 વર્ષીય રેખાબેન જુગાભાઈ દાસા ગુરુવારે સવારે પોતાના ઘરે હતા, ત્યારે તેનો પુત્ર નગાજણ ત્યાં આવ્યો હતો અને રૂપિયા 1,500ની માંગણી કરી હતી. જોકે, રેખાબેને 'તારે કેવા માટે રૂપિયા જોઈએ છે' તેમ કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ 'જો તું પૈસા નહીં આપે તો તને ઘરની બહાર કાઢી મૂકીશ અને જાનથી મારી નાખીશ.' તેમ કહી પુત્રએ ઘરમાં રહેલો પાવડાનો લાકડાનો ધોકો લઈ માતાના ડાબા પગ અને ડાબા હાથ પર આડેધડ ફટકા માર્યા હતા. દીકરાના મારના કારણે બૂમાબૂમ કરતા તેમની પુત્રી આરતીએ દોડી આવી છોડાવ્યા હતા. હુમલાથી ઇજાગ્રસ્ત રેખાબેનને સારવાર માટે 108 મારફત માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે શીલ પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે આરોપી પુત્ર વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
હુમલો:ભાગ મુદે નણંદોયા, ભાણેજનો મહિલા પર હુમલો, ટ્રેક્ટર કુવામાં નાંખી દીધું
કેશોદ તાલુકાના ડેરવાણ ગામના કમળાબેન કાનાભાઈ બકોત્રા (ઉ.વ. 57) નામના મહિલા પોતાના ખેતરમાં શુક્રવારે સવારે વાવેતર કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેના વંથલી તાલુકાના લુશાળા ગામે રહેતા નણંદોયા પરબતભાઈ ડાંગર અને તેનો પુત્ર અનિરૂદ્ધ ત્યાં ધસી આવ્યા હતા. બંનેએ 'આ જમીનમાં અમારો ભાગ છે' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે કમળાબેનના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા તેના પિતરાઈ પ્રવીણભાઈ નાથાભાઈ છૈયાને તું કોને પૂછીને ટ્રેક્ટર હાંકવા આવેલ છે તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા, પિતા, પુત્રએ ખેતરમાં રહેલું ટ્રેક્ટર ધક્કો મારીને પાસેના કૂવામાં નાંખી દીધું હતું. જતા-જતા ધમકી આપી હતી કે જો હવે પછી આ ખેતરમાં દેખાશો તો જાનથી મારી નાખીશું.આ મામલે કમળાબેને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આંબેચા ગામની સીમમાંથી ફરાર આરોપી ઝડપાયો:57,450ના ડ્રગ્સ કેસમાં 9 દિવસથી ફરાર લાઠોદ્રાનો આરોપી ઝડપાયો
રૂપિયા 57,450ના ડ્રગ્સ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ફરાર લાઠોદ્રાના આરોપીને સીમ વિસ્તારમાંથી ઝડપી લઇ માળીયા પોલીસને સોંપી આપ્યો હતો. જૂનાગઢ એસઓજીએ ગત તા. 1લી એપ્રિલે માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામના ભૂતવડ વાડી વિસ્તારમાં રહેતો નરવીરસિંહ બાલુભાઈ લાખાણીને લાઠોદ્રા ગામથી પાણીધ્રા પાટીયા તરફના રોડ પર આવેલ જેટકો 66 કેવી સબ સ્ટેશન સામે રોડ પર એમડી ડ્રગ્સને હેરાફેરી કરતો પકડી પાડ્યો હતો. શખ્સ પાસેથી રૂપિયા 57,450ની કિંમતનું 19.15 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 97,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સે પૂછપરછમાં લાઠોદ્રા ગામના ભૂતવડ વાડી વિસ્તારના અજય માણસુરભાઈ લાખાણી પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું જણાવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી અજય માણસુર આંબેચા ગામની સીમમાં આવેલ લખુ જશાભાઇ સિસોદિયાના ઘરે હોવાની માહિતી મળતા શુક્રવારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ કે. એમ. પટેલની ટીમે ઝડપી લઇ વધુ તપાસ માટે માળીયા પોલીસના હવાલે કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જીલ્લામાં ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અત્યાર સુધીમાં જૂનાગઢ જીલ્લા પંચાયતમાં 62, તાલુકા પંચાયતમાં 303 અને નગરપાલિકા માટે 13 ઉમેદવારી પત્રો રજૂ થયાં છે. આજે ઉમેદવારી પત્રો ભરવા માટે છેલ્લો દિવસ છે. જૂનાગઢ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી તા.26 એપ્રિલના મતદાન થવાનું છે. જેને લઇને તમામ પક્ષોએ તો પોતાના ઉમેદવારો પસંદગીને લઇને ગતિવિધિઅો ચાલુ કરી દીધી છે. ત્યારે આ ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને વિસાવદર ખાતેની નગર પંચાયત હાઈસ્કુલ ખાતે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જેમાં 498 પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરે ચૂંટણીલક્ષી બાબતો સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં અધિકારી અને કર્મચારીઓને મતદાન મથક પર કરવાની થતી મતદાન પ્રક્રિયા તેમજ ઈવીએમને લગતી જુદી-જુદી પ્રેક્ટીકલ બાબતોનું માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દ્વારા તમામ ચૂંટણી સ્ટાફને મતદાન માટે સજ્જ કરવામાં આવ્યો હતો. આ તકે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયાએ તાલીમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ કોર્પોરેટર જયેશ બોઘરાએ તંત્રની પોલ ખોલી નાખી હતી. ગત મહિને અનેક ગાયોના મોત બાદ તેમના મૃતદેહોને અત્યંત અમાનવીય રીતે કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સભામાં આ મુદ્દો ઉઠાવીને બોઘરાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ગંભીર બેદરકારી સામે અગાઉ જવાબદારોને સસ્પેન્ડ કરવા માટે માત્ર ચાર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, આજે એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જે દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીર નથી. જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે માત્ર 'ટૂંક સમયમાં કાર્યવાહી થશે' તેવું રટણ ચાલુ રાખ્યું હતું. કમિશનરના આ વલણથી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે તેઓ પોતાના કર્મચારીઓનો બચાવ કરી રહ્યા છે અને ગાયોના અપમાનના મુદ્દાને હળવાશથી લઈ રહ્યા છે. કમિશનરે એજન્સીની જવાબદારી લીધીઆખી મનપાનું ઓનલાઇન કામ ખાનગી એજન્સીને પડતી મૂકીને સરકારી કંપનીને સોંપવામાં આવ્યું છે. આ ગેરકાયદે પ્રક્રિયા હોવા છતાં કમિશનર પોતે 'સંપૂર્ણ જવાબદારી' લેવાની વાત કરે છે. એજન્સીને ફાયદો કરાવવા માટે કમિશનરનું આ વલણ અત્યંત આશ્ચર્યજનક છે. મેયર ધર્મેશ પોશીયાના બદલે નગરસેવક વાઘેલાનો જવાબસાતેશ્વર રોડના પ્રશ્ને વિપક્ષી નેતા લલિત પરસાણા અને ભાજપના પ્રવીણ વાઘેલા વચ્ચે ઉગ્ર 'તું-તું મેં-મેં' થઈ હતી. મેયર કે કમિશનરે જવાબ આપવાના બદલે શાસક પક્ષના નગરસેવકે બિનઅધિકૃત રીતે જવાબ આપતા સભાની ગરિમા લજવાઈ હતી અને પાલિકામાં શિસ્તનો અભાવ છતો થયો હતો. જવાહર રોડ ગટર કામમાં ગંભીર બેદરકારી અધિકારીએ કબૂલ્યુંજવાહર રોડ પર નવી ગટર લાઇન નિયમ મુજબ 15 ફૂટ ઊંડી હોવી જોઈએ, જે રોડની બિલકુલ નજીક નંખાઈ રહી છે. કેબલ નડતરનું બહાનું કાઢીને નવાબકાળની જૂની લાઈનમાં જોડાણ આપી સંતોષ મનાઈ રહ્યો છે. આ કામગીરી ભવિષ્યમાં રોડ બેસી જવાની કે ગટર ઉભરાવાની મોટી મુસીબત નોતરશે. દુકાનો તૈયાર, છતાં 2 માસ લાગશેજોષીપરા શોપિંગ સેન્ટરમાં વર્ષોથી તૈયાર પડેલી દુકાનોફાળવવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહી છે. ભાડું નક્કી થઈ ગયુંહોવા છતાં, શાસકો હવે વધુ બે મહિનાનો સમય માંગી રહ્યા છે.તૈયાર માળખાનો ઉપયોગ ન થવો તે મનપાની અણઆવડતઅને વેપારીઓ પ્રત્યેની ઉદાસીનતા સાબિત કરે છે.
વિવાદ વકર્યો:ગિરનાર પર શેષાવન પાસે જૈન ધર્મને જગ્યા ફાળવી દેતા વિવાદ
ગિરનાર પર્વત પર ભરતવન-સેસાવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે. આ મંજૂરી કોણે આપી, કઇ રીતે મેળવી સહિતની બાબતે તપાસ થવી જોઇએ સહિતની બાબતને લઇ ભૂતનાથ મંદિર ખાતે સાધુ-સંતોની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ગિરનાર જંગલમાં ભરતવન-સેસાવન પાસે જૈન લોકોને 200 વારના પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. એ લોકોનુ કહેવુ છે અમને આ બાબતે મંજૂરી આપવામાં આવી છે. જે જગ્યાએ લોકોને પહોંચવા માટે પણ વનખાતાની મંજુરી લેવી પડે છે એ જગ્યાએ એકા-એકા ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે સાથે સાધુ-સંતોમાં રોષ છવાયો છે. જેને લઇને શુક્રવારના સાંજે ભૂતનાથ મંદિર ખાતે સંતોની બેઠક મળી હતી. જેમાં આ જગ્યાની ફાળવણી કેવી રીતે થઇ, મંજૂરી કોણે આપી. આ યોગ્ય છે કે નહીં સહિતની તમામ બાબતે અધિકારીઓ તપાસ કરે તેવી માંગ છે. બેઠકમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, સુખરામ બાપુ, મહાદેવગીરી બાપુ સહિતના સંતો, ભાવિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
RTE પ્રવેશ પ્રક્રિયા:જિલ્લામાં RTEમાં 2974 અરજીમાંથી 352 કેન્સલ
ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે બાળકોએ 1 જૂન- 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને અગ્રતા આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મળતી વિગત મુજબ, સરકાર દ્વારા રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ દર વર્ષે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિ:શુલ્ક ભણી શકે તે માટે ધોરણ 1 માં પ્રવેશ અપાય છે. જિલ્લામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો આનો લાભ લે છે. આ વર્ષના પ્રવેશ માટે તારીખ 4 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂ થઇ છે. જે આગામી તારીખ 17 એપ્રિલ સુધી ચાલનાર છે. જેમાં તારીખ 10 એપ્રિલને શુક્રવાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી કુલ 2974 અરજી થઇ હતી. જેમાંથી 1609 મંજૂર, 709 પેન્ડીંગ, 304 રિજેક્ટ અને 352 કેન્સલ કરવામાં આવી છે. હજુ આ અરજીમાં વધારો થશે એમ જણાવ્યુ છે. આધારકાર્ડ, આવકના દાખલા સહિતના કાગળોમાં ભૂલથી અરજી રિજેક્ટ થાય આરટીઇમાં અરજી રિજેક્ટ થવાના કારણમાં વધારે આધારકાર્ડમાં નામ પુરુ ન હોય, કોઇપણ નામમાં ભૂલ હોય ઉપરાંત સરનામુ બદલી ગયુ હોય પણ કાગળોમાં જૂનૂ જ સરનામુ લખેલુ હોય તેને કારણે અને ખાસ આવકના દાખલમાં ક્ષતી સહિતની બાબત આરટીઇની અરજી રિજેક્ટ થવા પાછળ જવાબદાર રહે છે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી-જૂનાગઢ
ભાસ્કર વિશેષ:ઊનાળામાં શરીરમાં લાલ કુંડાળા- નાની ફોડકી અને ધાધર સહિત ચામડીનાં કેસો વધી ગયા
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનુ પ્રમાણ સતત વધેલુ જોવા મળી રહ્યુ છે. જેમાં સવારે 11 થી બપોરના 5 કલાક સુધી 35 થી 38 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય રહ્યુ છે. આ ગરમીને લીધે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. સિવિલમાં રોજની 150થી વધારે ઓપીડી ચામડી વિભાગમાં નોંધાય રહી છે. ચામડી વિભાગના તબીબ ડો. જયદિપ ટાંકે જણાવ્યુ કે, ગરમીને કારણે ચામડીના રોગમાં વધારો થાય છે. જેમાં હાલ ધાધર, શરીરમાં લાલ કુંડાળા તેમજ નાની-નાની ફોડકીઓ નિકળતી હોય તેવા કેસો સામે આવ્યા છે. હાલ જૂનાગઢ સિવિલમાં ચામડી વિભાગમાં જે રોજની 150થી વધારેની ઓપીડી હોય છે તેમાં અડધો અડધ દર્દી ધાધરના, 30 ટકા લાલ કુંડાળા તેમજ 20 ટકા નાની-નાની ફોડકીઓ(અરાયુ) નિકળી હોય તેવા દર્દીઓ નોંધાય રહ્યા છે. બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીનામાં આ અસર દેખાય રહી છે. ગરમી વધવાની સાથે આ કેસોમાં પણ સતત વધારો થશે એમ તબીબે જણાવ્યુ હતુ. ગરમીમાં લોકોએ આ સાવચેતી રાખવી હિતાવહ - સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.- દિવસમાં બે કે તેથી વધુ વાર સ્નાન કરવાનુ રાખવુ.- બપોરે 12 થી 4 કલાક જરૂરીયાત વગર બહાર ન નિકળવું.- ટુવાલ, નેપકીન સહિતની વસ્તુઓ અલગ-અલગ રાખવી- પાણી, લીંબુ પાણી સહિતના લીકવીડનુ સેવન વધારે કરવુ.- તીખા-તળેલા ખોરાકનુ સેવન ટાળી હળવો ખોરાક લેવો.
વેધર રીપોર્ટ:ગરમી વધી, મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 નોંધાયું
શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠમાં 24 કલાકમાં મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 ડિગ્રીએ પહોંચી જતા ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. છેલ્લા 5 દિવસથી સવારે અને દિવસ દરમિયાન પણ એકંદરે ઠંડક રહ્યા બાદ શુક્રવારે સવારથી વાતાવરણ સુકુ રહ્યું હતું અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહ્યું હતું જેની સાથે સવારના વાતાવરણમાં ભેજ પણ ઘટતા સવારથી જ ગરમીની શરૂઆત થઈ હતી અને ગુરુવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહ્યા બાદ 24 કલાકમાં શુક્રવારની બપોરે પારો 2.5 ડિગ્રી ઉપર ચડીને 38 ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. ઓચિંતા સૂર્યનારાયણ કોપાયમાન થતા લોકો ત્રાહિમામ થઇ ગયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળશે અને રવિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર જઈ શકે. જેથી આગામી સમયમાં લોકો અકળાઈ જશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે, એમ અનંત અંબાણીએ જણાવ્યું હતું. પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિદ્યા શાખામાં યુજી, પીજી, વિશિષ્ટ અભ્યાસક્રમો આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે.
ફરિયાદ:મહીસાગરના 150 તબીબી વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા
જામનગર શહેરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની મહિસાગર જિલ્લાના કોયડમ ખાતે ધન્વંતરી આયુર્વેદ કોલેજ આવેલી છે. જેમાં 150 જેટલા આયુર્વેદના તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે કોલેજના 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓએ વી.સી.ને લેખિતમાં રજુઆત સાથે માંગણી પણ કરી છે. જેમાં કોલેજમાં લાંબા સમયથી પુરતો સ્ટાફ ઉપલબ્ધ નથી, તેમજ કોલેજમાં પુર્ણ સમયના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી સભ્યોની અછત છે. પરિણામે નિયમિત વર્ગો લેવાતા નથી. તેમજ પ્રેક્ટિકલ શિક્ષણ પણ અપાતું નથી. જેથી અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ લીધેલ લોનની ચુકવણી કરવામાં આવી ન હોવાથી બેંકના અધિકારીઓ દ્વારા કોલેજને સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા 6 માસથી કોલેજ બંધ છે. જેથી છેલ્લા 6 માસથી અમે નવા સિલેબસ (NC15m મુજબ)થી અભ્યાસ કરી રહ્યા છીએ, અમને કોઈ માર્ગદર્શન મળ્યું નથી. જેનાથી અમારા અભ્યાસમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. તેમજ શિક્ષણ ફી પણ ભરવામાં આવી છે. તેમ છતાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ભાવી આયુર્વેદિક તબીબો સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.
જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દાન, પુણ્યની સાથે-સાથે ભોજન તેમજ લોકડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને જન્મ દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. રિલાયન્સ ટાઉનશીપની આજુબાજુના આવેલા ગામડાઓમાં ગત તા.9ના રોજ અનંત અંબાણીના જન્મ દિવસે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈને વૃધ્ધો તેમજ તમામ જ્ઞાતિજનોએ ભોજન કર્યુ હતું. ત્યારે જોગવડ ગામમાં કરાયેલા ભવ્ય ભોજન સમારંભમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તો ત્યાં આવેલી મહિલાઓને સાડી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન બ્રાહ્મણો પણ હાજર હોય અને તેઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને આશિર્વાદ આપ્યા હતા. તો અમુક વિસ્તારો તેમજ શહેરમાં પછાત વિસ્તારોમાં બાળકોને બોટલ સહિતની કીટ પણ આપવામાં આવી હતી. આ સાથે જોગવડ ગામ ખાતે ગુરૂવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરમાં રાજભા ગઢવી, સાંઈરામ દવે તેમજ દેવાંગી પટેલ વિપ્રય મહેતા સહિતના કલાકોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. તો મોટી સંખ્યામાં લોકોએ આ લોકડાયરાનો લાભ લીધો હતો અને આખી રાત ડાયરામાં બેઠા રહ્યા હતા. ભોજન સમારંભ સમયે લગાડવામાં આવેલા બેનરમાં અનંત અંબાણીને મહિલાઓએ દુ:ખણા લઈને જન્મદિવસના આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત અનંત અંબાણીના જન્મદિવસ નિમિતે મંદીરોમાં દાન તેમજ ગાયો સહિતના પશુઓને લાડુ સહિતનો ખોરાક આપવામાં આવ્યો હતો.
ફરિયાદ:તું અમારા સામુ કેમ જોશ તેમ કહી યુવર પર હુમલો
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને એક મહિલા સહિત ત્રણ શખસોએ યુવક ઉપર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતા વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ.38) નામના યુવક ગત તા.9ના રોજ પોતાની દિકરીને નાની ભગેડી ગામે સ્કુલે મુકવા માટે આવ્યા હતા. આ દરમિયાન આરોપી સુરેશ વાલાભાઈ મકવાણા અને હંસાબેન સુરેશભાઈ મકવાણાએ કહેલ કે, તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને યુવક સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અપશબ્દો બોલીને સુરેશ મકવાણા, હંસાબેન મકવાણા અને નાનજી દેવશીભાઈ મકવાણાએ લાકડાના ધોકા વડે હુમલો કરીને માથાના જમણા પગમાં ગોઠણથી નીચે તથા જમણા હાથમાં અને માથામાં લોહી કાઢીને તેમજ પગમાં ફેક્ચરની ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી વાર અમારી વચ્ચે આવીશ તો સારાવાટ નહી રહે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીના કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી અજાણ્યા શખ્સ પંખા અને કુલરની ચોરી કરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીના કુંકાવાવ રોડ વિસ્તારમાં આવેલા વિ.કે. પટેલના ફાર્મ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. જયંતીભાઈ બાબુભાઈ ઠુમ્મર (ઉ.વ. 56)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફાર્મમાં બેસવા માટે બનાવવામાં આવેલી બે માળની ખુલ્લી ઝૂંપડીમાં અજાણ્યો ચોર ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ્યો હતો. આ શખ્સ રૂપિયા 8,000ની કિંમતના ઝૂંપડીમાં ફિટ કરેલા ચાર પંખા તથા ત્યાં રાખેલ રૂપિયા 7,000ની કિંમતનું કુલર મળી કુલ રૂપિયા 15,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આમ, અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં હોય સઘન પેટ્રોલીંગની માંગ ઉઠી છે.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા શરૂ કરાયેલ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલસીબી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અમરેલી, રાજકોટ , જુનાગઢ તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર સહિત શહેરોમાં મળી કુલ 7 ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી કદવાલ ગામનો રહેવાસી બળવંત ગુલાબસિંહ બધેલ (ઉ.વ.35) સાવરકુંડલા રૂરલ, રાજકોટ શહેરના આજીડેમ અને બી ડિવિઝન, જુનાગઢના વંથલી તેમજ ઇન્દોરના કનાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં નાસતો ફરતો હતો. આ શખ્સ પહેલા મોટરસાયકલ ચોરી કરીને રાત્રિના સમયે શહેરો અને ગામોની સોસાયટીઓમાં ફરી બંધ મકાનોની રેકી કરતો હતો. બાદમાં લોખંડના કટર જેવા સાધનો વડે તાળા તોડી ઘરફોડ ચોરી કરીને દિવસ દરમિયાન નજીકના વાડી વિસ્તારમાં છુપાઈ રહેતો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી કદવાલ ગામેથી બળવંત ગુલાબસિંહ બધેલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ:દ્વારકામાં પરિવાર પર પાઈપ, ધોકા વડે હુમલો
યાત્રાધામ દ્વારકા શહેરના નારસંગ ટેકરી વિસ્તારમાં બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પરીવાર પર પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ છ શખસો સામે નોંધાઇ છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી હુમલાખોરને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. મળતી વિગત અનુસાર દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જુમાભાઈ અલાનાભાઈ ઈસબાણી અને તેમના પરિવારજનો સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બની હતી. આ બોલાચાલી દરમ્યાન વસીમ મામદ સમા, દિલાવર ઈબ્રાહીમ સમા, જુમા ઈબ્રાહીમ સમા, સોહીલ રજાક ઈસબાણી, મામદ અલી સમા અને આસિફ મામદ સમા સહિતના છ શખ્સોએ ગાળો ભાંડી હતી જે બાદ આરોપીઓએ લોખંડના પાઈપ તથા લાકડાનાધોકા વડે હુમલો કરી બેફામ મારપીટ કરી, જેના કારણે પીડિતોને ઇજાઓ પહોંચ્યાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્તની ફરીયાદના આધારે દ્વારકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ સમગ્ર મામલે પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી ચાલુ છે.
નમસ્તે, પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવાને લઈને બેઠક આજે છે, પરંતુ કદાચ વાત બની ન શકે. કારણ કે લેબનોનમાં થઈ રહેલા ઈઝરાયલી હુમલાઓથી ઈરાન નારાજ છે. બીજી તરફ, યુપીમાં 2 કરોડ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે મસ્કે કેમ કહ્યું કે વોટ્સએપ તમારા પ્રાઈવેટ મેસેજ વાંચી રહ્યું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. 2. ભાજપ દેશભરમાં મહિલા અનામત બિલના સમર્થનમાં મહિલા સંમેલનો યોજશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ પાકિસ્તાન જવા રવાના:કહ્યું- ઈરાન રમત ન રમે, ઈમાનદારીથી વાત કરે; હજી સુધી પાકિસ્તાન નથી પહોંચ્યું ઈરાનનું ડેલિગેશન અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ ઈરાન સાથે મહત્વપૂર્ણ વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના થયા છે. રવાના થતાં તેમણે ઈરાનને પ્રામાણિકપણે વાતચીત કરવા અને કોઈ રમત ન રમવા વિનંતી કરી. વેન્સે જણાવ્યું હતું કે જો તેહરાન સદ્ભાવનાથી વાતચીત કરે છે તો અમેરિકા ખુલ્લી વાતચીત માટે તૈયાર છે. જો કે, જો તેહરાન ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે, તો અમે કડક વલણ અપનાવશું. બંને દેશો વચ્ચે ઇસ્લામાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, બેઠક પહેલા અનિશ્ચિતતા રહેલી છે કારણ કે ઈરાની પ્રતિનિધિમંડળ હજુ પાકિસ્તાન પહોંચ્યું નથી. રિપોર્ટ અનુસાર, ઈરાન લેબનોનમાં ચાલી રહેલા ઇઝરાયલી હુમલાઓથી ગુસ્સે છે અને વાટાઘાટો અંગે કડક વલણ અપનાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યમુનામાં બોટ પલટી, 10 પ્રવાસીઓનાં મોત:લાઈફ જેકેટ નહોતા પહેર્યા, મદદ માટે સેના પહોંચી; તમામ પંજાબના રહેવાસી હતા મથુરાના વૃંદાવનમાં યમુના નદીમાં 30 પ્રવાસીઓને લઈ જતી ખાનગી બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 પ્રવાસીઓ ડૂબી ગયા. જેમાં 7 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક પતિ-પત્ની અને એક પિતા-પુત્રીનો સમાવેશ થાય છે. બોટ પર સવાર તમામ પ્રવાસીઓ બાંકે બિહારી ક્લબના સભ્યો હતા અને પંજાબથી દર્શન કરવા આવ્યા હતા. ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, શ્રી બાંકે બિહારી મંદિરથી લગભગ 2 કિમી દૂર કેસી ઘાટ પર બપોરે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો. રાહત અને બચાવ કામગીરી માટે સેના પહોંચી ગઈ છે. ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ વૃંદાવન પહોંચી ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું:ઘરમાં 500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા, સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત, સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 14 માર્ચ 2025 ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં 500-500ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમણે 5 એપ્રિલ 2025ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જોકે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી. જ્યાં સુધી તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું ક્યારે મોકલ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મીડિયામાં આ માહિતી શુક્રવારે આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. વોટ્સએપ તમારા પ્રાઇવેટ મેસેજ વાંચી રહ્યું છે:મસ્કે કહ્યું- આ વિશ્વાસપાત્ર નથી, ટેલિગ્રામ CEOએ એન્ક્રિપ્શનને ફ્રોડ ગણાવ્યો; કોર્ટ પાસેથી વળતરની માગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક ઇલોન મસ્ક અને ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવે વોટ્સએપની પ્રાઇવસી પર સવાલો ઉઠાવ્યા છે. મસ્કે કહ્યું કે વોટ્સએપ પર ભરોસો કરી શકાય નહીં. આ વિવાદ અમેરિકામાં વોટ્સએપ વિરુદ્ધ દાખલ કરાયેલા નવા ક્લાસ એક્શન મુકદ્દમા પછી શરૂ થયો છે. અમેરિકાની એક અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વોટ્સએપ તેના યુઝર્સના મેસેજને વચ્ચેથી જ ઇન્ટરસેપ્ટ કરે છે. કંપની દાવો કરે છે કે તેના મેસેજ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' છે, એટલે કે મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ ત્રીજો તેમને વાંચી શકતો નથી. જોકે, મુકદ્દમા મુજબ મેટા આ મેસેજને એક્સેન્ચર જેવી ત્રીજી પાર્ટીઓ સાથે શેર કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શાહે કહ્યું- મમતા ભત્રીજાને સીએમ બનાવવા માગે છે:લોકોની પરેશાનીની પરવાહ નથી; મમતાએ કહ્યું- સાપ પર ભરોસો કરજો, ભાજપ પર નહીં ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પશ્ચિમ બંગાળના ડેબ્રામાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે મમતા બેનર્જીને બંગાળના લોકોની પરવા નથી. તેમને ફક્ત તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને આગામી મુખ્યમંત્રી બનાવવામાં રસ છે. આ દરમિયાન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણાના તેંતુલિયામાં એક ચૂંટણી રેલી યોજી હતી. તેમણે કહ્યું, સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પરંતુ ભાજપ પર નહીં. શુક્રવારે, ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ માટે પોતાનો મેનિફેસ્ટો એટલે વિશ્વાસ પત્ર બહાર પાડ્યો. તેણે મહિલાઓ માટે દર મહિને ₹3,000, યુવાન બેરોજગારો માટે દર મહિને ₹3,000, પહેલા છ મહિનામાં UCC લાગુ કરવાની અને 45 દિવસમાં સરકારી કર્મચારીઓ માટે સાતમો પગાર ધોરણ જાહેર કરવાની જાહેરાત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:વિમલને ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાયો, પૂછપરછમાં BP હાઇ થઈ જાય છે અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી બહાર કાઢ્યા:બીજેપી સત્તાના નશામાં ચૂર, ભરત બારડે કહ્યું- પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે પંચાયત-પાલિકાની ચૂંટણી વચ્ચે ભાજપનો ઘરનો ઝઘડો જાહેરમાં સામે આવ્યો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ આજે (10 એપ્રિલ) શહેર ભાજપ કાર્યાલયે ગયા તો તેમને અંદર જવામાં દેવામાં આવ્યા નહોતા. ઓફિસમાં હાજર લોકોએ તેમને ખભે હાથ મૂકી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. ભારે ગુસ્સા સાથે ભરત બારડ કાર્યાલયની બહાર આવ્યાં હતા અને પાર્કિંગમાં સ્કૂટર લઈને જતી વખતે બોલ્યા કે, પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. બધા આડા પડ્યા કે, ઓફીસમાં ન જાવ પ્રમુખ પાસે અને પછી ત્યાથી નીકળી ગયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : MP-UPમાં તાપમાન 6C થી 10C સુધી વધી શકે છે:રાજસ્થાનમાં 40Cથી વધુ થવાની શક્યતા; હિમાચલમાં સામાન્ય કરતાં 200% વધુ વરસાદ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : એપ્સ્ટીન મામલે મેલાનિયા ટ્રમ્પનો બાટલો ફાટ્યો:કહ્યું- મને દોષિત જાતીય અપરાધી સાથે જોડતા જૂઠાણાંથી દૂર રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ:પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત, વિશેષ દેખરેખના આદેશ; ધણછોથી આગળ જવા પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાન યુદ્ધ યુદ્ધવિરામ- પાકિસ્તાની PMને નોબેલ આપવાની માગ:PAKની પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, ધારાસભ્યો બોલ્યા- સેના પ્રમુખને પણ નોમિનેટ કરો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹4855 વધીને ₹2.41 લાખ પર પહોંચી:સોનું ₹368 મોંઘું થઈને 1.50 લાખને પાર થયું, આ વર્ષે ₹17 હજાર ભાવ વધ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા : ચહલે દારૂ છોડી દીધો?:રોહિતે મેદાનમાં જ ભજ્જીને ઉઠાવ્યો, દિગ્વેશે દગાબાજી કરી, ગોએન્કાએ વિનરને વ્હાલ કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પૂજામાં પરિક્રમા કરવાનું મહત્ત્વ:જાણો પ્રદક્ષિણા પાછળનો ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પરિક્રમા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ફોન ચોરવા ફ્લાઈટમાં આવતા હતા ચોર ગુજરાત પોલીસે એવા ચોરોની ધરપકડ કરી છે, જેઓ ફ્લાઈટ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઈને ચોરી કરતા હતા. બે આરોપીઓ પાસેથી 21 મોબાઈલ મળી આવ્યા છે. આ ચોરો ક્રિકેટ સ્ટેડિયમ, મેટ્રો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં સક્રિય હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામે પોલીસની ટીમ પર જ હલ્લાબોલનો પ્લાન બનાવ્યો!: પોલીસ JCBથી આશ્રમની દીવાલ તોડીને પાછલા બારણેથી આસારામને અરેસ્ટ કરીને લઈ ગઈ; જુઓ સિરીઝનો એપિસોડ-32 2. આજનું એક્સપ્લેનર:શું PAKમાં ઈરાની નેતાઓના જીવને જોખમ છે, મીટિંગમાં કોણ-કોણ સામેલ થશે; આખરે ઈઝરાયલ સમજૂતી કેમ નથી ઈચ્છતું 3. ફિલ્મી ફેમિલી : એક્ટરે વાજપેયીના મોંમાંથી જીત છીનવી:પત્નીનું મોત થતાં દીવાલે માથું પછાડતાં, બંગલો દુર્ભાગી બન્યો! પાર્થિવ દેહ પર લાલ ઝંડો કેમ? 4. માલ્ટાના વડાપ્રધાનના પત્ની ગુજરાતી યુવાનને ભેટી પડ્યા:પગપાળા 20 દેશમાં ફરી 12 હજાર કિલોમીટર કાપશે, ઇટલીમાં ડ્રગ્સ એડિક્ટ પાછળ પડ્યાં ત્યારે શું થયું? 5. મિશન ‘અમરતા’:લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું શકય છે? માર્કેટમાં આવી ગઈ છે ઘડપણ રોકવાની નવી તકનીકો 6. મહિલાઓ માટે પેશાબ રોકવું ખતરનાક!:UTIથી લઈને કિડની ફેલ્યોર સુધીના જોખમો; જાણો ટોઇલેટ હાઇજીનની 11 ટિપ્સ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: તુલા રાશિના લોકો માટે લાભદાયી દિવસ, વૃશ્ચિક રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે; મીન રાશિની સફળતાનો સૂર્યોદય (સંપૂર્ણ રાશિફળ વાંચો)
વડોદરા શહેરમાં એક પાન પાર્લરના વેપારીની એકટીવા સાથે અકસ્માત કર્યા બાદ 5 શખ્સ દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતુ. ચાકુ બતાવીને વેપારી પાસેથી મોબાઈલ, પર્સ સાથે રોકડ રકમ અને ATM કાર્ડ લૂંટી લીધું હતુ. ત્યારબાદ ATM દ્વારા 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. છેવટે આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલમાં ફેકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકે 5 લૂંટારૂ વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે. જેને આધારે છાણી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. છાણી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને હરણી વિસ્તારમાં પાન પાર્લરની દુકાન ચલાવતા વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 8 એપ્રિલના રોજ રાત્રે તેઓ હરણી વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરી એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર ગીરીરાજ સ્કૂલ પાસે એક સફેદ સ્વિફ્ટ કાર દ્વારા અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા શખ્સોએ ગીરીશભાઈને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ હથિયાર બતાવીને તેમનો મોબાઈલ, પર્સ તથા રોકડ કબજે કરી ત્યારબાદ એટીએમનો પિન નંબર મેળવી લીધો હતો. આરોપીઓએ શહેર અને હાઈવે પર અલગ અલગ સ્થળોએ લઈ જઈ 1 લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી લીધી હતી અને આણંદ જિલ્લાના સોજીત્રા નજીક કેનાલ પર લઈ જઈ પુલ પરથી પાણીમાં ફેંકી દીધા હતા. સદનસીબે વેપારી પિલરને પકડી જીવતા બચી ગયા હતા અને સવાર સુધી છુપાઈ રહ્યા પછી સ્થાનિકોની મદદથી પરિવારને જાણ કરી ઘરે પરત ફર્યા હતા. સમગ્ર બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અપહરણકારો વેપારી યુવકને સોજીત્રા નજીક કેનાલ પર લઈ ગયા હતા. ત્યાં કારમાંથી નીચે ઉતાર્યા બાદ તેને પુલ પરથી જીવતા કેનાલમાં પાણીમાં ફેંકી દીધો હતો. જોકે સદનસીબે યુવક પિલરને પકડીને લટકી રહ્યો હતો. અપહરણ કરો ગયા બાદ યુવક પાણીમાંથી બહાર આવ્યો અને રાત્રે અંધારામાં છુપાઈ રહ્યો હતો. સવારમાં સ્થાનિકોની મદદ મેળવી પોતાના પરિવારને જાણ કરતા તેઓ તેમને લેવા માટે આવી પહોંચ્યા હતા.વેપારી યુવકે જણાવ્યું હતું કે, કારમાં પાછળની સીટ પર બેઠેલા એક લૂંટારૂએ મને પુછયુ કે તુ કૌશિકને ઓળખે છે, તે તારી વાઇફ જોડે વાત કરે છે, તો તને શું પ્રોબ્લેમ છે? અને પછી મને જ્યારે ગાડીમાં ફેરવતા હતા ત્યારે બે લોકો તેઓના મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા કે, આને ઉપાડી લીધો છે અને આને આજે પુરો કરી દઈશું પછી તે વખતે મારી બાજુમાં બેસેલ શખ્સે કોઈને ફોન કરી અને તેના એકાઉન્ટમાં રુપિયા 25 હજાર નાખવાની તથા ગાડી ચલાવનારે પણ કોઈને ફોન પર તેના એકાઉન્ટમાં 20 હજાર નાખવાની વાત કરી હતી. પકડાયેલા આરોપીઓના નામ (1) કૌશીકભાઇ મહેન્દ્રભાઇ શર્મા ઉ.વ.૩૨ ધંધો.હેર સલુન રહે મોટી કેનાલ પાસે બામરોલી ગામ તા. વસો જી.ખેડા (2) નીલકંઠ ઉર્ફે નાથીયો જીતેંદ્રભાઇ બારૈયા ઉ.વ.-૨૮ ધંધો.-સાઉન્ડ સીસ્ટમ (ડી.જે) રહે.-લારાપટેલની વાડી પાસે, જુની ગોલવાડ,વસો ગામ તા.-વસો જી.-ખેડા (3) ઉમંગ ઉર્ફે શુટર ભાવેશભાઇ પ્રજાપતિ ઉ.વ.-૨૧ ધંધો-નોકરી રહે.-મ.નં.-બી-૨૧,પૃથ્વી પાર્ક સોસાયટી,ગીતાંજલી ચોકડી તથા રામાપીરના મંદિરની બાજુમા. નડીયાદ, તા.નડીયાદ જી.ખેડા (4) ગોવિંદભાઇ રણછોડભાઈ ભોઈ ઉ.વ.૩૮ ધંધો.ખાંનગી નોકરી હાલરહે.- પશુ દવાખાનાની સામે, પુનીત આશ્રમ ની બાજુમા, ડાકોર તા.ઠાસરા જી.ખેડા મુળ રહે.-દુધની ડેરી પાસે ભોઇવાડા, વસો ગામ, તા.વસો જી.ખેડા (5) પૃથ્વી ઉર્ફે પીકે ખોડાભાઈ ભોઈ ઉ.વ.-૨૫ ધંધો-ખાનગી નોકરી હલ રહે.-ખોડીયાર સોસાયટી વસો ગમના ગેટ પાસે વસો તા.વસો જી.ખેડા મુળ રહે ભોઇવાસ રાસ ગામ તા. બોરસદ જી.આણંદ
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરતભાઈ બારડ અને પક્ષના મહામંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીની ઘટના બનતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. શહેર પ્રમુખને મળવા જઈ રહેલા પૂર્વ મેયરને મહામંત્રીઓએ અટકાવતા વિવાદ વકર્યો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પૂર્વ મેયરે ગાંધીનગરથી તેંડુ આવતા રાજ્યના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરી મામલો થાળે પાડ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના?ભરતભાઈ બારડ જ્યારે શહેર પ્રમુખની ઓફિસમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ત્રણ મહામંત્રીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહામંત્રીઓએ પૂર્વ મેયરનું બાવડું પકડતા મામલો બિચક્યો હતો. આ અપમાનજનક વર્તનથી રોષે ભરાયેલા ભરતભાઈ બારડે જાહેરમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ કોઈના બાપની પેઢી નથી, આ પાર્ટી અમે બનાવી છે. ભરતભાઈ બારડને ગાંધીનગરથી તેડુંઆ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ તુરંત જ ગતિવિધિઓ તેજ થઈ હતી અને ભરતભાઈ બારડને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. મોવડી મંડળ સાથેની આ બેઠકમાં સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 'ભાજપને મોટી લીડથી જીતાડવાની છે'શીર્ષ નેતૃત્વ સાથેની મુલાકાત બાદ ભરતભાઈએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે અને ચર્ચાથી મને સંપૂર્ણ સંતોષ છે. હું પાર્ટીનો પાયાનો કાર્યકર છું અને ભાજપના સિદ્ધાંતોને વરેલો છું, તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકતા તેમણે કાર્યકર્તાઓને એકઠા થઈને ભાજપને મોટી લીડથી જીતાડવા માટે કામે લાગી જવા વિનંતી કરી છે. મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરત બારડ વેલ્ડિંગ કામમાં વળગ્યામેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરત બારડએ કોઈ પણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન ફરી શરૂ કરી દીધી છે. તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળ્યા છે. ભરત બારડ અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર રહ્યા. તેઓ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે. વેલ્ડિંગનો જે વ્યવસાય છે તે પણ એક કેબિનમાં ચાલે છે. મેયરનો કામ કરતા જોઈને સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો)
આગામી મહેસાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત મોડી સાંજે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ વખતે સત્તાવિરોધી લહેરને ખાળવા અને સંગઠનને મજબૂત કરવા માટે 'નો-રિપીટ' થિયરી અપનાવી હોય તેમ જણાય છે. મોટાભાગની બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને મેદાને ઉતારી ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે. જ્યારે જૂના નગરસેવકોમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા સભ્યો પર જ ફરી વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. માત્ર 9 નગરસેવકોને જ રિપીટ ટિકિટનગરપાલિકાના ગત ટર્મના કુલ સભ્યોમાંથી ભાજપે આ વખતે માત્ર 9 નગરસેવકોને જ રિપીટ ટિકિટ આપી છે. રિપીટ થનારા મુખ્ય નામોમાં ટીનભા ઠાકોર, દિનેશ પટેલ, દીપક પટેલ અને મિતલ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા પ્રતિનિધિ તરીકે ભારતીબેન પંકજભાઈ ઠાકોર અને અસ્મિતાબેન અલ્પેશભાઈ પટેલને ફરીથી તક આપવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને વોર્ડ-13માંથી ટિકિટ આપીભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી નિષ્ઠાપૂર્વક પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને વોર્ડ નંબર 13 માંથી ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. આ સાથે જ સંગઠન પ્રત્યેની સમર્પિતતાને ધ્યાને રાખીને ભાજપ કાર્યાલય મંત્રી જયેશ પ્રજાપતિના પત્ની નયનાબેન પ્રજાપતિને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. સામાન્ય કાર્યકર અને કાર્યાલયના સેવકને પ્રતિનિધિત્વ આપી ભાજપે ટિકિટ વિતરણમાં આ વખતે એક નવો જ અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતા જ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પક્ષ માટે વર્ષોથી કાર્યરત ઘણા દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાઈપક્ષે 'નો-રિપીટ થિયરી' અથવા નવા સમીકરણોના આધારે અનેક સક્ષમ નેતાઓને ટિકિટ આપી નથી. ટિકિટ ગુમાવનારાઓમાં પૂર્વ મેયર વિનોદ ખીમસુરીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના દંડક કેતન નાખવા અને પૂર્વ શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા જામનગર ભાજપના આંતરિક માળખામાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાને ટિકિટઆ ટિકિટ વિતરણમાં પક્ષે પાયાના કાર્યકરોને બદલે 'આયાતી' ઉમેદવારો પર વધુ ભરોસો મૂક્યો હોવાની ચર્ચા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કેટલાક પૂર્વ કોર્પોરેટરોને તાત્કાલિક ટિકિટ આપવામાં આવી છે. સક્રિય સભ્ય નથી તેવાને અને અન્ય વોર્ડના નેતાને ટિકિટવધુમાં, કેટલાક વોર્ડમાં એવા ચહેરાઓને ટિકિટ મળી છે જેઓ પક્ષના સક્રિય સભ્ય નથી અથવા જે તે વોર્ડમાં ક્યારેય કાર્યરત રહ્યા નથી. અમુક ઉમેદવારોને તેમના મૂળ વિસ્તારને બદલે અન્ય વોર્ડમાંથી લડાવવા માટે ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થયો છે. ટિકિટ વિતરણને લઈને ભારે નારાજગીવર્ષોથી ભાજપ સાથે જોડાયેલા નિષ્ઠાવાન કાર્યકરોમાં આ ટિકિટ વિતરણને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકરોનું માનવું છે કે સંગઠનને મજબૂત કરનારા નેતાઓની અવગણના કરીને બહારથી આવેલા લોકોને મહત્વ આપવું પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં, ભાજપના આંતરિક અસંતોષ અને દિગ્ગજોની બાદબાકી વચ્ચે જામનગર મહાનગરપાલિકામાં પક્ષનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રહ્યું. વિપક્ષી દળો જેવા કે કોંગ્રેસ, AAP અને BSP આ નારાજગીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. જામનગર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી જામનગરની 6 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી
સુરત મનપાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખરે 104 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં અનેક દિગ્ગજ અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં ખાસ કરીને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપીને ભાજપે મોટું રાજકીય સમીકરણ સાધ્યું છે. આ ઉપરાંત, શહેરના પૂર્વ મેયર દક્ષેશ માવાણી પર ફરી એકવાર વિશ્વાસ મૂકી તેમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના આ લિસ્ટમાં જૂના જોગીઓ અને યુવા લોહીનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 4, 23, અને 24ના ઉમેદવારોની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પક્ષપલટુઓ અને પૂર્વ મેયરની ટિકિટ કપાઈઆપમાંથી આવેલા 12 પૂર્વ કોર્પોરેટરોને ભાજપે ડાબેરી દેખાડ્યા. વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન પરથી જીત્યા બાદ કેસરીયો ધારણ કરનારા 12 પૂર્વ કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીએ આંચકો આપ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 120 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ પક્ષપલટુ પૂર્વ કોર્પોરેટરો પૈકી એક પણ નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પક્ષે જૂના અને વફાદાર કાર્યકરો પર પસંદગી ઉતારીને પક્ષ પલટો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ જણાય છે. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું પત્તું કપાયું, રાજકારણમાં ગરમાવોભાજપની આ પ્રથમ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાતા જોવા મળ્યું છે. શહેરના પ્રથમ નાગરિક રહી ચૂકેલા બોઘાવાલાને આ વખતે પડતા મૂકવામાં આવ્યા છે. વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને ટિકિટઆરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નેન્સી શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મનીષાબેન આહીર, દિનેશ રાજપુરોહિત, બ્રિજેશ ઉનડકટ, હિમાંશુ રાહુલજી, અમિત રાજપુત, નરેન્દ્ર પાટીલ, ભાઈદાસ પાટીલ અને સુધા પાંડે સહિતના અગ્રણીઓને પાર્ટીએ રિપીટ કર્યા છે. બીજી તરફ, એસ.આઈ.આર. (SIR) ની કામગીરીમાં વિવાદિત ચહેરો બનેલા પૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલના પુત્રવધૂ સુષ્મા પાટીલને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. આજે 10 એપ્રિલે ભાજપે જાહેર કરેલી યાદીમાં 47 ઉમેદવારના નામ છે. જેમાં કુલ પાંચ વોર્ડમાં માત્ર 3 ઉમેદવાર તો બાકીના 8 વોર્ડમાં તમામ ચારેય ઉમેદવાર જાહેર કરી દીધા છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં ઉમેદવારોના નામો જાહેર થતાની સાથે જ વિરોધ અને ઉત્સાહના બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ નવા જાહેર થયેલા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ હતો, તો બીજી તરફ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાના સમર્થકો સાથે મોરચો માંડ્યો હતો. રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાહેરાત થતાની સાથે જ વોર્ડના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. જોકે, આ ખુશીના માહોલની વચ્ચે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પોતાના મનગમતા નેતાની ટિકિટ કપાતા નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નીતિન રામાણી 50 કરતા પણ વધુ સમર્થકો અને કાર્યકર્તાઓના મોટા કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ નીતિનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી આખું ભાજપ કાર્યાલય માથે લીધું હતું. અને ભાજપ કાર્યાલય ખાતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. નીતિન રામાણીની જગ્યાએ પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સમર્થકોની માગ હતી કે પાયાના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીને ફરી તક મળવી જોઈતી હતી. જોકે વિરોધ પ્રદર્શન વધતા ભાજપના સિનિયર આગેવાન પુષ્કર પટેલ આગળ આવ્યા હતા અને તેમણે નીતિન રામાણીને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ પુષ્કર પટેલ પૂર્વ કોર્પોરેટરને શહેર પ્રમુખ પાસે રજૂઆત માટે લઈ ગયા હતા. સમગ્ર મામલો થાળે પાડવા માટે ભાજપના ટોચના નેતાઓ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ મહામંત્રીઓની હાજરીમાં નીતિન રામાણી સાથે આશરે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નેતાઓએ રામાણીની નારાજગી દૂર કરવા અને પક્ષના શિસ્તનું પાલન કરવા માટે સમજાવ્યા હતા. અને આખો મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. જોકે આવનારી ચૂંટણીમાં આ વિરોધની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલા એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માતને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. છતાં મૃતકોના પરિવારોમાં અસંતોષ અને પ્રશ્નો યથાવત્ છે. ખાસ કરીને બ્રિટનના નાગરિકોના પરિવારો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમને હજુ સુધી ઘટનાનું સંપૂર્ણ સત્ય જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં 279 સંખ્યામાં લોકોનાં મોત થયા હતા, જેમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ હતા. બ્રિટિશ નાગરિક હરેશ પટેલના પિતા કુબેરભાઈ અને માતા બેબીબેન પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા.હરેશ પટેલે યુકેની Air Accidents Investigation Branch (AAIB)ને પત્ર લખ્યો હતો. જેનો પ્રત્યુત્તર AAIB એ તેમને આપ્યો હતો કે, પ્રિય શ્રી પટેલ, 12 જૂન 2025ના અમદાવાદ (ભારત) ખાતે એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના અકસ્માત અંગે તાજેતરમાં AAIBનો સંપર્ક કરવા બદલ આભાર. હું આ તપાસમાં AAIB ઈન્ડિયા માટે નિમાયેલ “Expert” છું. અકસ્માતની વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે આપના નુકસાન માટે મારી હાર્દિક સંવેદના સ્વીકારશો. તમારા ઈમેલમાં તમે લખ્યું હતું કે AAIB ઈન્ડિયા તપાસમાં “Expert status” ધરાવે છે. આ સ્થિતિએ કારણે છે કે આ અકસ્માતમાં યુનાઇટેડ કિંગડમના નાગરિકોના મૃત્યુ થયા હતા, અને આ આંતરરાષ્ટ્રીય નિયમો (Annex 13 – Convention on International Civil Aviation) મુજબ છે. એક Expert તરીકે, મને અને મારી ટીમને અકસ્માત સ્થળની મુલાકાત લેવાનો અધિકાર હતો. અમને AAIB ઈન્ડિયા દ્વારા જાહેર કરવા માટે મંજૂર માહિતી મેળવવાનો અને અંતિમ રિપોર્ટની નકલ મેળવવાનો અધિકાર છે.પરંતુ, મને તપાસના ટેકનિકલ પાસાઓ વિશે માહિતી મેળવવાનો અધિકાર નથી. એટલે કે, યુનાઇટેડ કિંગડમ તમારા માગ્યા મુજબ સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરી શકતું નથી. તમારા ટેકનિકલ પ્રશ્નો અંગે – પ્રાથમિક (preliminary) રિપોર્ટ હંમેશા અંતિમ નથી હોતો અને આગળની તપાસ બાદ તેમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકાનો National Transportation Safety Board (NTSB) આ તપાસમાં સંપૂર્ણ રીતે જોડાયેલો છે, કારણ કે તે વિમાનના ડિઝાઇન અને ઉત્પાદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે.NTSB અને તેની સલાહકાર કંપની Boeing એ ઉપલબ્ધ ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કર્યું છે અને તેમનું વિશ્લેષણ AAIB ઈન્ડિયાની તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે આપના પ્રશ્નોના જવાબ અંતિમ રિપોર્ટમાં મળે. હું આપને સલાહ આપું છું કે માત્ર પ્રાથમિક રિપોર્ટ અથવા મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચશો નહીં.હું સમજું છું કે અંતિમ રિપોર્ટ માટે રાહ જોવી આપ અને અન્ય પરિવારો માટે મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે ઘણા પ્રશ્નો બાકી હોય. મેં તાજેતરમાં AAIB ઈન્ડિયાને પૂછ્યું હતું કે રિપોર્ટ ક્યારે આવશે, પરંતુ તેમણે કોઈ તારીખ આપી નથી.આ પ્રકારના રિપોર્ટ તૈયાર થવામાં સમય લાગે છે, કારણ કે તપાસ સંસ્થાઓ સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવા માંગે છે, અને તેથી અગાઉથી ચોક્કસ તારીખ જણાવવી મુશ્કેલ હોય છે.
સુરતના પૂણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટનામાં સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આરોપી જબીઉલ્લાહ આલમે પોતાની સાચી ઓળખ છુપાવી ‘ભોલુ’ નામ ધારણ કરી પડોશમાં રહેતી 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હિન્દુ નામ ધારણ કરી કિશોરી સાથે મિત્રતા કેળવ્યા બાદ આરોપીએ તેણીનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ યોગેશ પાટીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. ગાર્ડનમાં દુષ્કર્મ ગુજારી બિહાર ભગાડી ગયો હતોકેસની વિગતો મુજબ આરોપી જબીઉલ્લાહ 19 વર્ષની ઉંમરનો હતો, ત્યારે તેણે સગીરાને લલચાવી ફોસલાવી હતી. જૂન 2025 પહેલા તે સગીરાને મહાનગરપાલિકાના ગાર્ડનમાં મળવા બોલાવતો હતો અને ત્યાં જ અનેકવાર તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ફક્ત એટલું જ નહીં, આરોપી આ કિશોરીનું અપહરણ કરીને તેને બિહાર લઈ ગયો હતો, જ્યાં પણ તેણે સગીરા પર સતત અત્યાચાર ગુજાર્યો હતો. નામ બદલીને છેતરપિંડી કરવી ગંભીર બાબતસેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ કેળવવા માટે પોતાનું ખોટું નામ ધારણ કર્યું અને બાદમાં તેણીનું અપહરણ કર્યું, આ કૃત્ય અત્યંત ધૃણાસ્પદ છે. ખાસ કરીને ઓળખ છુપાવીને કરવામાં આવતા આવા ગુનાઓને સમાજ માટે જોખમી ગણાવી કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા ગંભીર અપકૃત્યને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં. આરોપીને આજીવન કેદ અને 10.50 લાખનું વળતર ચૂકવવા હુકમબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી જબીઉલ્લાહ આલમને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. સજાની સાથે સાથે પીડિતાના પુનર્વસન માટે કોર્ટે આરોપીને રૂ. 10.50 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ ખોટી ઓળખ આપી સગીર વયની બાળકીઓને શિકાર બનાવે છે. સરકારી વકીલની દલીલો નિર્ણાયક સાબિત થઈઆ સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી યોગેશ પાટીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ સોશિયલ એન્જિનિયરિંગ અને ઓળખની છેતરપિંડી દ્વારા એક માસૂમ કિશોરીનું જીવન બરબાદ કર્યું છે. કોર્ટે તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને રાખીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો ન્યાયી ચુકાદો આપ્યો છે.
રાજ્યની 10 હજારથી વધુ પાલિકા-પંચાયતની બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે (11 એપ્રિલે) અંતિમ દિવસ છે. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવા છતા કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરાતા દાવેદારોના હાર્ટબીટ વધ્યા છે. યાદી જાહેર થયા બાદ સંભવિત બળવાને ખાળવા માટે પાર્ટી દ્વારા આવતીકાલે તમામ ઉમેદવારોને મેન્ડેટ આપી સીધા ફોર્મ જ ભરાવી દેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનયી છે કે, કોંગ્રેસ અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, વડોદરા અને મોરબી મહાનગરપાલિકાના 243 ઉમેદવારોની એક જ યાદીની જાહેરાત કરી છે. વિરોધની સંભાવનાના પગલે કોંગ્રેસ કાર્યાલયના બદલે અન્ય સ્થળે બેઠક યોજીગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક ગુપ્ત સ્થળે કરતા હોવાથી રાજીવ ગાંધી ભવન પર કોઈ માહોલ મળી રહ્યો નથી. માત્ર બોડીગાર્ડ અને કેટલાક કાર્યકર્તાઓ જ કામગીરી કરતા જોવા મળ્યા હતા.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખને જ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત સ્થળ પર યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામની પંસદગી કરી લેવામાં આવી છે. ઉમેદવારોની જાહેર કરવાના બદલે સીધા મેન્ડેન્ટ આપવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. નેતાઓની ખેંચતાણ અને જૂથવાદના કારણે પ્રભારીઓને મેન્ડેટ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પ્રભારીઓ મેન્ડેન્ટની ફાળવણી કરશે. અમદાવાદ મનપાના કેટલાક ઉમેદવારોનું કોકડું ગૂંચવાયુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી રહેલા ઉમેદવારોને બપોર ટેલિફોનીક જાણ કરી ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, જમાલપુર, શાહપુર, ચાંદખેડા વોર્ડમાં સિનિયર નેતાઓ દ્વારા લોબિંગ કરવામાં આવ્યું છે. જેથી આ વોર્ડમાં ઉમેદવારોને બપોર પછી ટેલિફોનીક ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી દેવા સૂચના આપવામાં આવશે. વિવાદિત બેઠક પરના ઉમદેવારના મેન્ડેટ પણ સીધા ઓફિસ પર જ પહોચાડવામાં આવશે. વિવાદ ન સર્જાય તે માટે ટેલિફોનીક જાણ કર્યા બાદ ઔપચારિક યાદી જ જાહેર કરવામાં આવશે. RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માં ટિકિટ આપીરાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભાને ઉમેદવાર જાહેર કર્યા. RJ આભા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. આભા ફેસબુકમાં 160K ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309K ફોલોઅર્સ ધરાવે છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારો જાહેર કરાયા હતા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં શુક્રવાર રાત્રે 8 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના ઉમેદવારોના નામ જાહેર ન થતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના 64 ઉમેદવારોએ આજે શુક્રવારે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપે છેલ્લી ઘડીની દોડધામને પહોંચી વળવા માટે ખાસ લીગલ પેનલ તૈયાર કરી છે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય તે માટે લીગલ એડવાઈઝરની પેનલ તૈયારસુરત ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભારે ગુપ્તતા જાળવવામાં આવી છે. શુક્રવારે રાત્રે 8:30 વાગ્યા સુધી સત્તાવાર યાદી ન આવતા એક પણ ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જોકે, સંગઠન દ્વારા આંતરિક રીતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લી ઘડીએ નામ જાહેર થાય અને ફોર્મ ભરવામાં કાયદાકીય ટેક્નિકલ ભૂલ ન રહી જાય તે માટે વોર્ડ દીઠ ખાસ લીગલ એડવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. ચાર ઉમેદવારો વચ્ચે એક લીગલ એક્સપર્ટની ફાળવણી કરવામાં આવી છે, જેઓ રાતભર ઉમેદવારોના એફિડેવિટ અને ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ કરશે. બીજા દિવસે કુલ 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યાશુક્રવારે સુરતના વિવિધ ઝોનલ ઓફિસો ખાતે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ જમા કરાવ્યા હતા. આજે કુલ 64 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેની સાથે છેલ્લા ત્રણ દિવસમાં ફોર્મ ભરનારાઓની કુલ સંખ્યા 74 પર પહોંચી ગઈ છે. શનિવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ આવતીકાલે ફોર્મ ભરવાનો આંકડો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવાની શક્યતા છે. યાદી વગર જ અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યાકોંગ્રેસ પક્ષમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રથમ યાદી જાહેર થયા બાદ બીજી સત્તાવાર યાદી જાહેર કરવામાં વિલંબ થયો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોને રૂબરૂ ફોન કરીને ફોર્મ ભરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ આદેશ મળતા જ અનેક કોંગ્રેસી નેતાઓ પોતાની ફાઈલો લઈને કલેક્ટર કચેરી અને ઝોનલ ઓફિસોએ પહોંચી ગયા હતા. કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે, ભાજપની યાદી આવ્યા બાદ જ પોતાની પૂરેપૂરી તાકાત મેદાનમાં ઉતારવી. વોર્ડ નં-2 અમરોલી-મોટા વરાછામાં સૌથી વધુ ફોર્મચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 2 (અમરોલી-મોટા વરાછા-કઠોર) અત્યારે હોટ ફેવરિટ બન્યો છે. આ વોર્ડમાંથી આજે સૌથી વધુ 10 ફોર્મ ભરાયા છે. આમ આદમી પાર્ટી તરફથી પરિમલ કાણાની, દયાબેન પાનસુરીયા, કિરણબેન મેઘાણી, જ્યોત્સનાબેન સુતરીયા, તુલસી લાલલીયા અને નયનાબેન ગાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. તો સામા પક્ષે કોંગ્રેસમાંથી અરવિંદ પગદાર, પંકજ સરખેડીયા અને પ્રવિણા ખેની જેવા નામો મેદાનમાં આવતા આ વિસ્તારમાં જંગ રસપ્રદ બનશે તેમ દેખાઈ રહ્યું છે. શનિવારે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન કરશેભાજપની પરંપરા મુજબ છેલ્લી ઘડીએ જ ઉમેદવારો નક્કી કરવામાં આવે છે, જેથી બળવો કે આંતરિક જૂથવાદ રોકી શકાય. મોડી રાત્રે યાદી ફાઈનલ થયા બાદ તમામ 120 બેઠકો પર ભાજપના ઉમેદવારો શનિવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ભાજપે દરેક વોર્ડમાં જંગી રેલીઓ અને ઢોલ-નગારા સાથે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, આવતીકાલનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ સુરતમાં ત્રિકોણીય મુકાબલો જામશે જેની સીધી અસર સુરતના મતદારો પર પડશે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ તેજ બનશેફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ સુરત શહેર અને જિલ્લામાં પ્રચારનો ધમધમાટ શરૂ થશે. આ વખતે સોશિયલ મીડિયાથી લઈને પદયાત્રાઓ સુધીના કાર્યક્રમોની હારમાળા સર્જાશે. ભાજપ પોતાના વિકાસના મોડલ સાથે, કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો સાથે અને આમ આદમી પાર્ટી 'પરિવર્તન'ના નારા સાથે મેદાનમાં છે. અનેક બેઠકો પર ચતુષ્કોણીય મુકાબલા સર્જાવાની પણ પૂરી શક્યતા છે, જેને કારણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ શકે છે.
અમદાવાદમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને કપડા સહિતનો માલસામાન ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીન શોટ બતાવીને 50થી વધુ વેપારીઓ સાથે ઠગાઇ કરનાર ગઠિયો ઝડપાયો છે. આરોપીએ નવરાત્રીમાં પાર્ટી પ્લોટોની ટિકીટો પણ બનાવટી પેમેન્ટનો સ્ક્રીન શોર્ટ બતાવીને લઇ લીધી હતી. મહત્વનું છે કે બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી સામે આઠ કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો, પણ બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતાબોપલમાં રહેતા મયુરભાઇ દોંગા બોપલ-આંબલી રોડ પર પડદાના કાપડની દુકાન ધરાવે છે.થોડા દિવસ અગાઉ એક યુવક દુકાને આવ્યો હતો અને તેણે તાત્કાલિક કાપડ લેવાનું કહીને 40 હજારનું કાપડ પસંદ કર્યું હતું. યુવકે બેંકની ડીટેઇલ મોકલીને કાપડ લઇને પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ મયુરભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા. બીજી તરફ યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. આ યુવકે તેનું નામ ઋષિલ શાહ જણાવ્યું હતું. જેની ભાળ ન મળતા મયુરભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોપોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઋષિલ શાહને ઘાટલોડિયામાં તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેના વિરૃદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં અકસ્માત સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમજ તે કારમાં બનાવટી નંબર પ્લેટ રાખતો હતો અને અન્ય નામના સીમ કાર્ડ પણ વાપરતો હતો. એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતોઉપરાંત BBA સુધીનો અભ્યાસ કર્યો છે. કેન્વાસ એપ્લીકેશનથી મેસેજમાં એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતો હતો. જ્યારે તેને નવરાત્રીમાં સફેદ પરીંદે જેવા પ્રખ્યાત ગરબામાં પણ બનાવટી મેસેજ બતાવીને 45 ટિકીટો લઇને બારોબાર વેચીને રૂપિયા કમાઇને મોજશોખમાં ઉડાવી દીધા હતા.
ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીએ પક્ષમાં આંતરિક વિખવાદ અને રોષની જ્વાળાઓ ભડકાવી છે. ‘નો-રિપીટ’ થિયરીના નામે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા સ્થાનિક દિગ્ગજોના પત્તા કાપી નાખવામાં આવતા સંગઠનમાં ભડકો થવાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને પક્ષપલ્ટો કરીને આવેલા નેતાઓને ટિકિટની લોટરી લાગતા સ્થાનિક કાર્યકરોમાં બળવાના સૂર સંભળાઈ રહ્યા છે. યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી ભાજપ સંગઠનમાં ખળભળાટગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીના પસંદગીકારોએ અગાઉ ચૂંટાયેલા સભ્યો સહિત સ્થાનિક દિગ્ગજો પર રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 28 બેઠકો પૈકી 27 બેઠકો પર મુરતિયા જાહેર કરાયા છે, જેમાં નો-રિપીટ થિયરીનો કડક અમલ કરીને માત્ર બે સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાયાજેમાં માણસાની લોદરા બેઠક પરથી કલ્પેશ પટેલ અને દહેગામની કડજોદરા બેઠક પરથી રાજેન્દ્ર રાઠોડ પર ફરી વિશ્વાસ મુકાયો છે, જ્યારે બાકીની તમામ બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાતા સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.આ યાદીમાં સૌથી વધુ આશ્ચર્ય અને રોષ આયાતી ઉમેદવારોને કારણે જોવા મળી રહ્યો છે. કેમકે મૂળ કોંગ્રેસી અને બે વર્ષ પહેલા ભાજપમાં ભળેલા રશ્મિભાઇ ઠાકોરને સાંતેજ અને રાજીબેન ઠાકોરને ભોયણ મોટી બેઠક પર ટિકિટની લોટરી લાગી છે. પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષજેના પગલે પક્ષના વફાદાર કાર્યકરોને અવગણીને પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત માણસાની સોજા બેઠક પર ગત જૂનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયેલા મહિલાના પતિને ટિકિટ અપાતા પક્ષની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પરિવારવાદના પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે. જેમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેનના પુત્રવધુ લક્ષ્મીબેન ઠાકોરને ઉવારસદ અને પેટાચૂંટણી જીતેલા સભ્યના પત્ની સોનીબેન દેસાઇને હાલીશા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે. જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય છતાં નવા ચહેરાને તક બીજી તરફ બેઠકોના રોટેશન અને સીમાંકનમાં થયેલા ફેરફારને કારણે અનેક મહિલા દિગ્ગજોના પત્તા કપાયા છે. પૂર્વ પ્રમુખ શિલ્પાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ, સિંચાઈ સમિતિના ચેરમેન લીલાબેન પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન સંગાડા જેવી નેતાઓની બેઠકો અનામતની ફાળવણીમાં બદલાઈ જતાં તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે. તો આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય થવા છતાં ત્યાં નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપ હાઈકમાન્ડ આંતરિક રોષને ડામવામાં સફળ ના રહ્યું?જિલ્લા પંચાયતની 28 બેઠકો પૈકી ભાજપે 27ના નામોમાં જ્ઞાતિવાદનું જોર પણ સ્પષ્ટ દેખાય છે. 15 મહિલા ઉમેદવારો અને ઠાકોર-પટેલ સમાજના વર્ચસ્વ વચ્ચે જેમના પત્તા કપાયા છે તેઓ હવે શાંત બેસે તેમ જણાતું નથી. અડાલજ, સરઢવ, સાદરા અને ડભોડા જેવી બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને ઉતારવા સામે પણ પક્ષની અંદર ગણગણાટ શરૂ થયો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક રોષને ડામવામાં સફળ રહે છે કે પછી સીટિંગ દિગ્ગજોનો આ અસંતોષ ચૂંટણી ટાણે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય છે.
CBI કોર્ટ અમદાવાદ દ્વારા આજે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગુરિન્દર સિંઘ, નિવૃત્ત ચીફ મેનેજર કે.જી.સી.એસ. અય્યર અને નિવૃત્ત સીનિયર મેનેજર કે.ઈ. સુરેન્દ્રનાથ તેમજ અન્ય ખાનગી વ્યક્તિઓ સંજય પટેલ, સતીષ ડાવરા, હિતેશ ડોમડિયા, વૈશાલી ડાવરા, રમીલાબેન ભીકાડિયા અને મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે. 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યોગુરિન્દર સિંઘ, કે.જી.સી.એસ. અય્યર અને કે.ઈ. સુરેન્દ્રનાથને 2 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી વ્યક્તિઓ સંજય પટેલને ત્રણ વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. હિતેશ ડોમડિયાને ત્રણ વર્ષની સખત કેદ અને 01 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સતીષ ડાવરાને બે વર્ષની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. વૈશાલી ડાવરાને બે વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. રમીલા ભીકાડિયાને બે વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 3.70 કરોડની લોન અને 40 લાખની કેશ ક્રેડિટ લિમિટ માટે અરજી કરી હતીCBIએ 22 ઓગસ્ટ, 2016 ના રોજ આરોપી શૈલેષ સતાસીયા સંજય પટેલ, સતીષ ડાવરા અને અન્ય અજાણ્યા ખાનગી વ્યક્તિઓ તથા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ આ કેસ નોંધ્યો હતો. તેઓની ઉપર આરોપ હતો કે મેસર્સ શ્રી કાલી ટેક્સટાઈલ્સના પ્રોપરાઈટર શૈલેષ સતાસીયાએ 44 વોટર જેટ લૂમ મશીનોની ખરીદી અને સામાન્ય વ્યાપારિક કામગીરી માટે 10 જુલાઈ, 2011 ના રોજ 3.70 કરોડની ટર્મ લોન અને 40 લાખની કેશ ક્રેડિટ લિમિટ માટે અરજી કરી હતી. AGM ગુરિન્દર સિંઘે આ લોન મંજૂર કરી હતીઆરોપી સીનિયર મેનેજર કે.ઈ. સુરેન્દ્રનાથ અને ચીફ મેનેજર કે.જી.સી.એસ. અય્યરની ભલામણ બાદ, 29 જુલાઈ, 2011 ના રોજ તત્કાલીન AGM ગુરિન્દર સિંઘ દ્વારા આ લોન મંજૂર કરવામાં આવી હતી. આ લોન માટે 44 મશીનોને પ્રાથમિક સુરક્ષા તરીકે અને વિવિધ પ્લોટ્સ તથા રહેણાંક ફ્લેટ્સને કોલેટરલ સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેંક સુરતને 1.57 કરોડનું નુકસાન થયું હતુંતપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી શૈલેષ સતાસીયા અને અન્ય ખાનગી વ્યક્તિઓએ છેતરપિંડીના ઈરાદે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આરોપી સરકારી કર્મચારીઓએ બેંકની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના, આ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે સ્વીકારી લોન વિતરિત કરી હતી. જેના કારણે આરોપીઓને ગેરકાયદે લાભ થયો હતો અને પંજાબ નેશનલ બેંક સુરતને 1.57 કરોડનું નુકસાન થયું હતું. CBI એ તપાસ પૂર્ણ કર્યા બાદ 29 જૂન, 2016 ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યભરમાં હજારો ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે, જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ બાકી હોવાથી આગામી સમયમાં આ આંકડો હજુ વધવાની અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયાવિવિધ સ્તરે ભરાયેલા ફોર્મના આંકડાઓ રાજ્યમાં ચૂંટણી પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે. મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોનો ધસારો સૌથી વધુ રહ્યો છે, જેના કારણે મોટા શહેરોમાં મુકાબલો કઠિન બન્યો છે. બીજી તરફ, નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયા છે, જે સ્થાનિક સ્તરે બદલાતા રાજકીય સમીકરણો અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જાગૃતિનો સંકેત આપે છે. છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળોરાજકીય પક્ષોની સાથે સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. આ સ્થિતિને કારણે અનેક બેઠકો પર ત્રિકોણીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ પણ પક્ષો દ્વારા બાકી રહેલા નામોની જાહેરાત થતાની સાથે જ છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચૂંટણી પ્રક્રિયાના આ પ્રારંભિક તબક્કા પરથી સ્પષ્ટ થાય છે કે આ મુકાબલો રસાકસીભર્યો રહેશે. ઉમેદવારોમાં જોવા મળી રહેલો આ ભારે ઉત્સાહ અને જટિલ સ્પર્ધાત્મક સમીકરણો આગામી સમયમાં રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા
રાજકોટના નવાગામના ઇંટનો ધંધાર્થી યુવાન વ્યાજંકવાદમાં ફસાયો હતો. યુવાને વ્યવસાયના કામ રૂ .85 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.14 કરોડ ચૂકવી દીધા હતા. આમ છતા વ્યાજખોરો દ્વારા વ્યાજ અને મૂડીની માગણી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત 6 શખ્સો સામે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. નવાગામમાં સમજુ પાર્કમાં રહેતાં મૂળ ચુનારાવાડના દેવેન્દ્રભાઇ હરેશભાઇ મંડલી (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ નરસંગ રાઠોડ (રહે.ભીચરી), રાજુ ભલસોડ (રહે. ચુનારાવાડ શેરી નં.02), નાગદાન આહીર (રહે. રાજપીપળા), મુન્ના ફુલવાળાની પત્ની (રહે. ચુનારાવાડ), રાજુ મહાકાળી પાનવાળો (રહે. દૂધની ડેરી પાસે) અને રાકેશ કાના રમેશ ગોસ્વામી (રહે. કુવાડવા રોડ)નું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરીયાદીએ જણાવ્યું હતુ કે, તેમને ઇંટના ભઠ્ઠાનો ધંધો હોય વર્ષ 2018માં ધંધામાં ખોટ આવતા જેની પાસેથી માટી મંગાવતા હતા તે ભીચરી ગામના મહેશ રાઠોડ પાસેથી રૂ. 8 લાખ 2 ટકા વ્યાજ લીધા હતા. જે બાદ વધુ રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. આમ કુલ રૂ.13 લાખના 2 ટકા વ્યાજ લેખે દર મહિને રૂ.26 હજાર રોકડ ચૂકવતો હતો અને અત્યાર સુધીમાં રૂ. 27 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોર વ્યાજ અને મૂડીની માંગણી કરી ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડના રાજુ ભલસાડ પાસેથી રૂ. 7 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા જેને આજદિન સુધીમાં રૂ.9 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. વર્ષ 2020 માં નાગદાન આહીર પાસેથી રૂ.8 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા બાદમાં વધુ જરૂર પડતા કુલ રૂ.13 લાખ તેમની પાસેથી વ્યાજે લીધા હતા જેના બદલામાં રૂ.13 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડ-1માં રહેતા મુન્ના ફુલવાળા પાસેથી વર્ષ 2018 માં રૂ. 4 લાખ વ્યાજ આજે લીધા હતા જેનું દર મહિને અઢી ટકા વ્યાજ યુવાન ચૂકવતો હતો. એક વર્ષ પહેલા મુન્નાભાઈનું અવસાન થતાં મુન્નાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો અને હવે વ્યાજ અને મૂડી બંને આપવું પડશે તેમ કહ્યું હતુ. આ ઉપરાંત વર્ષ 2021 માં રાજુભાઈ મહાકાળી પાનવાળા પાસેથી યુવાને 13 લાખ 5 ટકા વ્યાજ લીધા હતા 2021 સુધી રાજુભાઈને વ્યાજની રકમ રૂ. 15 લાખ આપી દીધી હોવા છતાં તે મૂડી અને વ્યાજની માંગણી કરી ધમકીઓ આપે છે. આ સાથે જ યુવાને પાડોશમાં રહેતા રાકેશભાઈ ઉર્ફે કાના કાનાભાઈ ગોસ્વામી પાસેથી વર્ષ 2022માં ધંધાના કામ માટે રૂપિયા 14 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વધુ જરૂરિયાત પડતા કુલ રૂ. 35 લાખ તેમની પાસેથી 5 ટકા વ્યાજ લીધા હતા. જેમાં આજદિન સુધીમાં રૂ. 50 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતા વ્યાજખોરો ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી યુવાને આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા શખ્સે છુપાઈને મહિલાનો મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. આ મામલે પીડિત મહિલાએ અભયમ ટીમની મદદ લેતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ અભયમ ટીમને જાણ કરી હતી કે, આજે સવારે તે પોતાના ઘરના બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. તેમના ઘરના બાજુમાં કડિયા કામ માટે આવતો એક વ્યક્તિ હતો. બાથરૂમની દીવાલો હોવા છતાં ઉપરનો ભાગ ખુલ્લો હતો અને ત્યાં લગાવેલ નેટ તાજેતરના વાવાઝોડાને કારણે ઉડી ગઈ હતી. આ દરમિયાન મહિલા નાહવા બેઠી હતી ત્યારે તેની નજર બાજુમાં ઉભેલા વ્યક્તિ પર ગઈ, જે મોબાઈલ દ્વારા વીડિયો બનાવી રહ્યો હતો. મહિલાએ તાત્કાલિક બુમાબુમ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો એ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તેણે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હતી અને પોતાનો મોબાઈલ ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ કડિયા કામ માટે ત્યાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પીડિત મહિલાએ તરત જ અભયમ ટીમને કોલ કર્યો હતો. અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી સામે પક્ષના ઘરે તપાસ કરતા ઘર તાળાબંધ મળ્યું હતું અને આસપાસ શોધખોળ છતાં આરોપી મળી આવ્યો નહોતો. આ સંદર્ભે પીડિત મહિલાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે જ આરોપી દ્વારા ફેંકાયેલ મોબાઈલ પણ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં જૂની અદાવત અને નાણાકીય લેતીદેતીમાં એક યુવક પર આઠથી નવ શખ્સોએ ઘાતક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. લાલજીભાઈ ચૌહાણને ફોન કરીને રેશ્મા ચોકડી પાસે બોલાવી આરોપીઓએ ચપ્પુ, ગુપ્તી અને લોખંડના પાઈપ વડે લોહીલુહાણ કરી દીધા હતા. આ હુમલા દરમિયાન આરોપીઓએ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ ઘટનામાં એક આરોપીનો પીછો કરીને તેને પકડ્યો હતો. ઉપાડના રૂપિયા માંગતા વિવાદ શરૂ થયોફરિયાદી લાલજીભાઈ અગરસંગભાઈ ચૌહાણ (ઉ.વ. 35) કાપોદ્રામાં હોટ ફિક્સનું કામ કરે છે. તેમના ત્યાં અગાઉ કામ કરતી હેતુબેન ઉર્ફે સંજુબેને લગ્ન માટે 50,000 ઉપાડ પેટે લીધા હતા. આ રૂપિયા પરત માંગવા માટે જ્યારે લાલજીભાઈના પત્ની યુવતીના ઘરે ગયા, ત્યારે યુવતીની માતાએ ‘તારો પતિ મારી દીકરીને મેસેજ કરે છે’ તેવા ખોટા આક્ષેપો કર્યા હતા. આ બાબતને લઈને આરોપી ગોપાલ ઉર્ફે રોનકે ફરિયાદીના ખાતા પર જઈ ‘લાલો ક્યાં છે? મારી બેનને કેમ મેસેજ કરે છે?’ કહી માથાકૂટ કરી હતી. રેશ્મા ચોકડી પાસે બોલાવી પિસ્તોલ બતાવી હુમલો કર્યોગઈકાલે સાંજે સવાભાઈ ભરવાડે લાલજીભાઈને ફોન કરી રેશ્મા ચોકડી નીચે પોલીસ ચોકી પાસે મળવા બોલાવ્યા હતા. લાલજીભાઈ ત્યાં પહોંચતા જ સવાભાઈ, ગોપાલ ઉર્ફે રોનક, વિપુલ ભરવાડ સહિતના 9 શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને ઘેરી લીધા હતા અને પિસ્તોલ જેવા હથિયાર બતાવી ભયનું વાતાવરણ ઊભું કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આંખ અને પગના ભાગે ઘાતક ઈજાઓ પહોંચાડીહુમલાખોરોથી બચવા લાલજીભાઈ નજીકની ગલીમાં ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ પીછો કરી તેમને પકડી પાડ્યા હતા. સવાભાઈએ ચપ્પુનો ઘા લાલજીભાઈની જમણી આંખની નીચે માર્યો હતો, જ્યારે ગોપાલે ગુપ્તી વડે જમણા પગમાં ગંભીર ઈજા કરી હતી. અન્ય આરોપીઓએ લોખંડની સાંકળ અને પાઈપ વડે ફટકારતા લાલજીભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમના નાના ભાઈ હઠીસિંગે વચ્ચે પડી તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. એઈમ્સ હોસ્પિટલમાં 10 ટાંકા આવ્યાઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એમ્સ (AIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ, લાલજીભાઈને આંખ નીચે 7 ટાંકા અને પગના ભાગે 3 ટાંકા આવ્યા છે, જ્યારે પીઠ અને હાથના ભાગે મુંઢ માર વાગ્યો છે. પુણાગામ પોલીસે આ મામલે રાયોટિંગ અને હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ સબ ઇન્સપેક્ટર ટી.આર. પાટીલ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે પાટણ ખાતે આવેલી સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાની કામગીરીનું અવલોકન કર્યું અને પશુ સંવર્ધન ક્ષેત્રે થતી વૈજ્ઞાનિક તથા આધુનિક કામગીરીની પ્રશંસા કરી. રાજ્યપાલએ કર્મચારીઓના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. રાજ્યપાલએ ખાસ કરીને સીમેન પ્રોડક્શન અને લિંગ નિર્ધારિત (Sexed Semen) ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી પશુપાલકોને થતા લાભ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ આધુનિક ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રે ગુણવત્તાસભર ઓલાદ વિકાસ અને દૂધ ઉત્પાદન વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીને બિરદાવી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા આહ્વાન કર્યું. ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા વર્ષ 2010 થી કાર્યરત છે. તે સમગ્ર રાજ્યમાં થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન અને વિતરણ કરતી એકમાત્ર અદ્યતન સંસ્થા છે. ભારત સરકાર દ્વારા સંસ્થાને સતત A ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. અહીં બાયોસિક્યોરિટી માપદંડોનું કડક પાલન થાય છે અને ગીર, કાંકરેજ, મહેસાણી, જાફરાબાદી જેવી ઉત્તમ ઓલાદોના સાંઢ-પાડાનું નિભાવ કરવામાં આવે છે. તાજેતરમાં શરૂ કરાયેલી લિંગ નિર્ધારિત સીમેન ટેકનોલોજી દ્વારા 90 ટકાથી વધુ માદા બચ્ચાનો જન્મદર નોંધાઈ રહ્યો છે, જે પશુપાલકો માટે અત્યંત લાભદાયી છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ 35 લાખથી વધુ પરંપરાગત અને 2 લાખથી વધુ લિંગ નિર્ધારિત સીમેન ડોઝનું ઉત્પાદન કર્યું છે. આનાથી રાજ્યમાં પશુઓની ઉત્પાદકતા વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલએ સીમેન સ્ટેશન, ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અને બુલ શેડની મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.એચ. ટાંક, પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. પ્રદિપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલની સેવાનો વ્યાપ વધ્યો:એક જ મહિનામાં 54 હજાર OPD અને 6 હજાર સર્જરી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજે માર્ચ 2026 દરમિયાન દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. અત્યાધુનિક સુવિધાઓના આધારે સંસ્થાએ માત્ર એક મહિનામાં 60,000 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને ઓપીડી અને ઇન્ડોર વિભાગ હેઠળ સઘન સારવાર પૂરી પાડી છે. તબીબી નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલી સફળ સર્જરી અને નિદાન સેવાઓને કારણે સામાન્ય જનતાનો વિશ્વાસ આ સંસ્થા પર મજબૂત બન્યો છે. ગંભીર બીમારીઓથી પીડાતા 6,054 દર્દીઓને દાખલહોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, માર્ચ મહિનામાં કુલ 54,939 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાનો લાભ લીધો હતો, જે સરેરાશ દૈનિક 1,700 થી વધુ દર્દીઓની સંખ્યા દર્શાવે છે. આ ઉપરાંત, ગંભીર બીમારીઓથી પીડાતા 6,054 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. સર્જરી વિભાગે પણ ઉત્કૃષ્ટ દેખાવ કરતા 690 મોટા ઓપરેશનો અને 6,054 જેટલા નાના ઓપરેશનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જે સરકારી યોજનાઓ હેઠળ રાહત દરે અથવા વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. 16,007 દર્દીઓના વિવિધ લેબ રિપોર્ટ્સ તૈયારનિદાન ક્ષેત્રે લેબોરેટરી અને રેડિયોલોજી વિભાગની કામગીરી પણ મહત્વની રહી છે. મહિના દરમિયાન કુલ 16,007 દર્દીઓના વિવિધ લેબ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને રેડિયોલોજી વિભાગ દ્વારા 15,911 એક્ષ-રે પાડવામાં આવ્યા હતા. આ ઝડપી ડાયગ્નોસ્ટિક સેવાઓને કારણે દર્દીઓને સમયસર ઇલાજ મળી રહ્યો છે. આંખના વિભાગમાં 2,681 દર્દીઓની તપાસખાસ રોગોની સારવારમાં, ક્ષય રોગ (ટી.બી.) નિર્મૂલન માટે કુલ 1,960 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાં 788 નવા કેસ અને 1,172 ફોલોઅપ દર્દીઓનો સમાવેશ થાય છે. આંખના વિભાગમાં 2,681 દર્દીઓની તપાસ થઈ હતી, જ્યારે ફિઝિયોથેરાપી વિભાગમાં 1,221 દર્દીઓએ કસરત અને પુનઃસ્થાપનની સેવાઓ મેળવી હતી.
મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ અને મહેસાણા મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવંતી બની છે.જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતોમાં ઉમેદવારોનો ભારે ઉત્સાહજિલ્લાની 10 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 222 ઉમેદવારોએ ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તાલુકાવાર વિગતો જોઈએ તો ખેરાલુ અને વિજાપુર તાલુકામાં સૌથી વધુ 37-37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સિવાય કડીમાં 32, વડનગરમાં 25 અને મહેસાણા તાલુકામાં 24 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. બહુચરાજીમાં 19 ઉમેદવારો જ્યારે સતલાસણા, ઊંઝા અને જોટાણા તાલુકા પંચાયત માટે 13-13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિસનગર તાલુકા પંચાયત માટે હાલમાં સૌથી ઓછા 9 ઉમેદવારી પત્રો ભરાયા છે. નગરપાલિકાઓમાં ઊંઝા અને વિજાપુરમાં જામશે જંગજિલ્લાની 5 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.જ્યાં અત્યાર સુધીમાં કુલ 131 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ ઊંઝા નગરપાલિકામાં 71 ઉમેદવારોએ ફોર્મ ભરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. વિજાપુર નગરપાલિકામાં પણ 46 ફોર્મ સાથે ભારે રસાકસી જોવા મળી રહી છે. જ્યારે બેચરાજીમાં 6, કડીમાં 5 અને વિસનગર નગરપાલિકામાં 3 ફોર્મ ભરાયા છે. મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ સ્થિતિનવનિર્મિત મહેસાણા મહાનગરપાલિકા માટે પણ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 46 ઉમેદવારોએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે. વોર્ડ મુજબના આંકડા તપાસતા, વોર્ડ નંબર 1 થી 5 માં સૌથી વધુ 22 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 6 થી 9 માં 13 ઉમેદવારો અને વોર્ડ નંબર 10 થી 13 માં કુલ 11 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી રજૂ કરી છે.
સુરત ગોપીપુરા મોમનાવાડ વિસ્તારમાં ગત 2 એપ્રિલ, 2026ના રોજ પકડાયેલા 6.44 લાખની કિંમતના 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં પોલીસને લાંબા સમયથી હાથતાળી આપી રહેલા બે મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવામાં આવ્યાં છે. મોબાઈલ ચોરી સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં આવેલા ચિંતામણી જૈન દેરાસરવાળી ગલીમાંથી ઉવેશ ઉર્ફે માફીયા અને સલમાન ઉર્ફે બેન્ડોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે, જેમાં ઉવેશ વિરુદ્ધ અગાઉ પોલીસ પર હુમલા અને ખૂનની કોશિશ જેવા 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ રીતે ફૂટ્યો ડ્રગ્સ નેટવર્કનો ભાંડોઆ સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે અઠવાલાઇન્સ પોલીસે ગોપીપુરાના જલારામ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી મોહમ્મદ જુબેર શાહને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યો હતો. જુબેરની પૂછપરછમાં એઝાઝ ઉર્ફે બાટલાનું નામ ખુલ્યું હતું. જ્યારે પોલીસે બાટલાની ધરપકડ કરી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સનો જથ્થો તેણે નાનપુરાના ઉવેશ માફીયા અને શાહપોરના સલમાન બેન્ડો પાસેથી મેળવ્યો હતો. આ ખુલાસા બાદ બંને આરોપીઓ પોલીસની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે તેઓ આખરે પકડાઈ ગયા છે. જૈન દેરાસર પાસેથી ફિલ્મી ઢબે ઓપરેશન કરીને બંનેને દબોચાયાફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે જાળ બિછાવી હતી. દરમિયાન મોબાઈલ ચોરી સ્કોડના જવાનોને હકીકત મળી હતી કે આ બંને આરોપીઓ લાલગેટ, શાહપોર વિસ્તારમાં છુપાયેલા છે. બાતમી મુજબની જગ્યા એટલે કે ચિંતામણી જૈન દેરાસરવાળી ગલીમાં વોચ ગોઠવી પોલીસે ઘેરો કર્યો હતો. પોલીસને જોતા જ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે બંનેને દબોચી લીધા હતાં. પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ ડ્રગ્સના વેપારમાં પોતાની સંડોવણી હોવાનો એકરાર કરી લીધો છે. ઉવેશ 'માફીયા'નો ભયાનક ગુનાહિત ઇતિહાસઝડપાયેલા બે આરોપીઓ પૈકી ઉવેશ ઇકબાલ કુંભાર ઉર્ફે 'માફીયા' પોલીસ ચોપડે અત્યંત કુખ્યાત છે. તેની સામે નોંધાયેલા ગુનાઓની યાદી લાંબી છે: સલમાન બેન્ડો શાહપોરનો રીઢો પ્રોહિબિશન આરોપીબીજો આરોપી સલમાન ઉર્ફે બેન્ડો સૈયદ (રહે. મદીના મસ્જિદ પાસે, શાહપોર) પણ ગુનાખોરીની દુનિયામાં નવો નથી. સલમાન વિરુદ્ધ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂની ગેરકાયદેસર હેરાફેરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. તે ડ્રગ્સના આ રેકેટમાં સપ્લાયર તરીકેની મહત્વની ભૂમિકા ભજવતો હતો અને ઉવેશ સાથે મળીને શહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું કામ કરતો હતો.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ભાજપે 2 મુસ્લિમ મહિલા અને 2 મુસ્લિમ પુરુષ એમ 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. વોર્ડ-3 માં કાશ્મીરાબેન ફિરોઝભાઈ વહોરા અને ઈમરાનભાઈ અનવરભાઈ વહોરાને ટિકિટ આપી છે. તો વોર્ડ-4માં ફરીનબાનુ શાહરૂખખાન પઠાણ અને અલ્તાફ અનવરભાઈ વહોરાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા કરમસદ-આણંદ પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન કરવામાં આવ્યાં બાદ આ સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરવામાં આવી છે.
ભારતીય આરોગ્ય સેવાઓ અને મહેમાનગતિના કિસ્સાઓ વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક વિદેશી પ્રવાસીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સુરતના સરકારી હોસ્પિટલના અનુભવ વિશે વાત કરી છે. રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ જ્યારે તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાંની સુવિધા અને મફત સારવાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શું હતી સમગ્ર ઘટના?જર્મનીના ટ્રાવેલર ડેવિડ નેવેલને ગત રાત્રે વેસુ વિસ્તારમાં એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. હડકવા જેવી ગંભીર બીમારીથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે તેણે તાત્કાલિક રસી લેવી અનિવાર્ય હતી. આ માટે તેણે સુરતની વેસુ વિસ્તારમાં જ આવેલી એક સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડેવિડ નેબેલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, સુરતના વેસુ વિસ્તારમાં તેમને એક રખડતા શ્વાને બચકું ભર્યું હતું. હડકવા જેવી ગંભીર બીમારીથી બચવા માટે તેઓ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને અપેક્ષા હતી કે, વિદેશી હોવાને કારણે કદાચ પ્રક્રિયા જટિલ હશે અથવા મોટો ખર્ચ થશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ હતી. ડેવિડને હોસ્પિટલમાં એક પણ રૂપિયો ચૂકવવો પડ્યો નહીં. તેમને જરૂરી તમામ ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર મફતમાં આપવામાં આવી. તેમણે હોસ્પિટલની સેવાની ઝડપ અને ત્યાંની સ્વચ્છતાના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું, હું ખરેખર આશ્ચર્યચકિત હતો કે આટલી જલ્દી અને સ્વચ્છતા સાથે મને સારવાર મળી. ડેવિડે પોતાના દેશ જર્મની સાથે સરખામણી કરતા કહ્યું કે, જો મારા દેશમાં કોઈ વિદેશીને આવી રીતે ઈજા થાય, તો ત્યાં તેને મફતમાં સારવાર મળવી લગભગ અશક્ય છે. ભારતની આ વ્યવસ્થા ખરેખર પ્રભાવશાળી છે. મફત સારવાર અને ઝડપી સર્વિસપ્રવાસીએ વીડિયોમાં તેનું રસીકરણ કાર્ડ પણ બતાવ્યું છે. તેણે જણાવ્યું કે, તેને હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર મફત આપવામાં આવી હતી. તેણે કુલ 4 ઈન્જેક્શન લેવાના છે, જેનો શિડ્યુલ ડૉક્ટરોએ તેને સમજાવ્યો હતો. તે હોસ્પિટલની સ્વચ્છતા અને ત્યાંની ઝડપી સેવા જોઈને ઘણો પ્રભાવિત થયો હતો. વિદેશી પ્રવાસીએ જણાવ્યું હતું કે, હું ખરેખર નવાઈ પામ્યો છું કે અહીં મને મફતમાં સારવાર મળી. મારા દેશમાં વિદેશીઓને હોસ્પિટલમાં આ રીતે મફત સારવાર મળવી ખૂબ મુશ્કેલ છે. આ ખરેખર પ્રશંસનીય છે. ભારતીય હેલ્થકેર સિસ્ટમની પ્રશંસાવીડિયોમાં તે પ્રવાસી વારંવાર 'Dope' અને 'Impressive' જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતની સરકારી સુવિધાઓના વખાણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'અતિથિ દેવો ભવ:'ની ભાવના ભારતની આરોગ્ય સેવાઓમાં પણ જોવા મળે છે. આ ઘટના દર્શાવે છે કે, ભારતની જાહેર આરોગ્ય પ્રણાલી માત્ર નાગરિકો માટે જ નહીં પરંતુ, મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસીઓ માટે પણ સમાન રીતે કાર્યરત છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. નેટીઝન્સે આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, જો તમે અમેરિકામાં હોત, તો તમારી પાંચ વર્ષની બચત આ સારવારમાં ખર્ચાઈ ગઈ હોત. અન્ય એક ભારતીય પ્રવાસીએ લખ્યું કે, જર્મનીમાં સર્જરી માટે લાંબો વેટિંગ પિરિયડ હોવાથી હું પોતે ઓપરેશન કરાવવા ભારત પાછો આવ્યો હતો. ઘણા લોકોએ ડેવિડને સલાહ આપી હતી કે, તેઓ હડકવાના તમામ ડોઝ પૂરા કરે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક અનોખી રણનીતિ અપનાવી છે. પક્ષે તમામ દાવેદારો પાસેથી ઉમેદવારી ફોર્મ ભરાવી લીધા છે, પરંતુ મેન્ડેટ છેલ્લી ઘડીએ આપવાનો નિર્ણય કર્યો છે. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ સંભવિત બળવાખોરીને ટાળવાનો છે. રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ભાજપમાં દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 240 થી વધુ લોકોએ ફોર્મ લીધા હતા અને 100 થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. આ સ્થિતિમાં, જો કોઈ એકને મેન્ડેટ આપવામાં આવે તો બાકીના દાવેદારો નારાજ થઈ અપક્ષ ઉમેદવારી કરી શકે છે, જે પક્ષને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ સંભવિત વિરોધને ટાળવા અને કોઈ નારાજ કાર્યકર અપક્ષ ઉમેદવારી ન કરે તે સુનિશ્ચિત કરવા માટે, પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે તમામ દાવેદારો પાસેથી ફોર્મ ભરાવી ચૂંટણી અધિકારીને સુપ્રત કરાવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીની છે. પક્ષ દ્વારા જે ઉમેદવારના નામે મેન્ડેટ જાહેર થશે, તે મેન્ડેટ છેલ્લી ઘડીએ એટલે કે બપોરે 12 વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવી દેવામાં આવશે. જે દાવેદારોને મેન્ડેટ નહીં મળે, તેમના ફોર્મ આપોઆપ રદ થઈ જશે. આ પદ્ધતિથી નારાજ કાર્યકરો અપક્ષ તરીકે ઉમેદવારી કરી શકશે નહીં. મેન્ડેટ જમા કરાવ્યા બાદ, જિલ્લા સંગઠન દ્વારા નારાજ કાર્યકરોને રૂબરૂ બોલાવી તેમની નારાજગી દૂર કરવામાં આવશે અને તેમને પક્ષને જીતાડવા માટે કામ કરવા સૂચના અપાશે. રાજપીપળા નગરપાલિકામાં આ વખતે પણ પૂર્ણ બહુમતી મેળવવાના ઉદ્દેશ્યથી ભાજપે આ માસ્ટર પ્લાન અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શું દુનિયા ખરેખર ભૂખમરાના કિનારે ઉભી છે કે આ ખાલી રાજકારણની જ ગરમી છે? કારણ કે એક બાજુ ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મિસાઈલો વરસી રહી છે, તો બીજી બાજુ ઇસ્લામાબાદમાં શાંતિ માટે હાઈ-સ્ટેક્સ બેઠકની વાત છે. પણ અહીં ટ્વિસ્ટ એવો આવ્યો કે પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા ઈરાન અને અમેરિકાની મીટિંગ થાય તે પહેલા જ પાકિસ્તાનના મંત્રીએ એવી તડકતી ભડકતી ટ્વીટ લખી કે મીટિંગ પહેલા જ આગ લાગી ગઈ. આ વચ્ચે હોર્મુઝમાં ઈરાને ફરી કબજો જમાવી, જલડમરુંને બંધ કરી દીધું છે. આટલું જ નહીં ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાઈ ચેઈન તૂટી પડી છે. જેના પર IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સાથે મળીને ધડાકો કર્યો છે કે ખાતર-ટ્રાન્સપોર્ટેશન અને તેલના ભાવ વધવાથી મોંઘવારી થશે અને તેના કારણે દુનિયાના ગરીબ દેશો ભૂખમરામાં આવી જશે. આ ગૂંચવાયેલી ડિપ્લોમસીની વાત આજે આપણે કરીશું. નમસ્કાર... એક બાજુ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ છે, તો બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધની લાંબી અસરોએ સાથે મળીને ગ્લોબલ સપ્લાય ચેઇનને ધૂળધાણી કરી નાખી છે. પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવા મીટિંગ કરે તે પહેલા જ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા એમ. આસીફની X પોસ્ટે આગ લગાવી, તેમણે લખ્યું છે કે, ઈઝરાયલે પાક.ની મધ્યસ્થીને ઉઘાડી પાડી જ્યારે કોઈ દેશ બે દેશ વચ્ચે ઝઘડો પૂરો કરતો હોય ત્યારે તે કોઈની પણ બાજુ ન હોવો જોઈએ. પણ પાકિસ્તાનના રક્ષા મંત્રીનું આ નિવેદન તે જ ન્યુટ્રાલિટીના ધજાગરા ઉડાવતું નજરે આવે છે. આ નિવેદને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પણ ડિપ્લોમેટિક લેવલે પણ ભૂકંપ લાવી દીધો છે. પોતાના દેશનું આવું અપમાન ઈઝરાયલ પણ થોડું સહન કરે? તેમણે પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પાકિસ્તાનને ચીઠ્ઠીનો છૂટ્ટો ઘા કરીને લખ્યું, “ઈઝરાયલના સર્વનાશ માટેનું આહ્વાહન અત્યંત આઘાતજનક. ઈઝરાયલ આ સહન નહીં કરે,ખાસ કરીને મધ્યસ્થીનો દાવો કરનારનું.” પાક.ની આંખ ખૂલી તો બપોર થઈ ગયું પછી તો શું ઈન્ટરનેશલ દબાણ એટલું વધ્યું કે ખ્વાજા એમ. આસીફે ટ્વીટ ડિલિટ કરવી પડી. પણ અબ પછતા કે ક્યા ફાયદા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત? તેના જેવા હાલ થયા. નુકસાન તો થઈ ચૂક્યું છે. ડિલિટ કરતાની સાથે જ એ સાબિત થઈ ગયું કે પાકિસ્તાન અત્યારે સૂડી વચ્ચે સોપારીના હાલમાં છે. એક બાજુ તેમને પોતાના ઘરના કટ્ટરપંથીઓના અહમને સંતોષવાનો છે તો બીજી બાજુ અમેરિકા અને ચીન સામે પોતાને હોંશિયાર સાબિત કરવાનું છે. આજે નહીં આવતીકાલે થશે યુદ્ધ રોકવાની મીટિંગ હવે આપણે એ વાત કરીએ જે આજે સૌથી વધુ ચર્ચામાં રહેવાની હતી પણ થયું કંઈક બીજું. વાત જાણે એમ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે ઇસ્લામાબાદમાં આજે અમેરિકા અને ઈરાનની બેઠક મળવાની હતી. પણ ઈરાન લેબનોન હુમલા સામે વિરોધ કરીને પાકિસ્તાન નથી આવ્યું. પછી નક્કી કરવામાં આવ્યું કે આજની બેઠક 11 એપ્રિલે એટલે કે કાલે થશે. વાત અહીં જ નથી અટકતી, એવી પણ વાત છે કે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસીફના ઇઝરાયેલ વિરોધી વિવાદાસ્પદ નિવેદનથી મોટો ડખો થયો છે. ઇઝરાયેલના આકરા પ્રહાર અને અમેરિકાના દબાણ વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. હવે આખી દુનિયાની નજર આવતીકાલના ફેંસલા પર છે. ઈરાનની અડધી સેનાનો ખાત્મો? હવે યુદ્ધ અને તેની માઠી અસરોની વાત કરીએ તો ઈરાન ગુરિલ્લા યુદ્ધમાં માહેર છે પણ ઈઝરાયલ અને અમેરિકાના આકાશથી બોમ્બમારામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે. કહેવાય છે કે પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામૈનીના ગયા પછી સૈનિકોની ક્ષમતા 50 ટકા જેટલી ઘટી ગઈ છે. અંદરખાને એવા પણ રિપોર્ટ્સ છે કે ઈરાનમાં પણ હવે બે ભાગ પડ્યા છે. એકને યુદ્ધ ચાલુ રાખવું છે અને બીજાને જે નુકસાન થયું છે તેની ભરપાઈ અને તમામ પ્રકારના પ્રતિબંધોમાંથી છૂટ જોઈએ છે. ઈરાનનો દસનો દમ, અમેરિકાનો પંદરનો પંચપાકિસ્તાની બેઠકમાં આવતીકાલે ઈરાનના 10 મુદ્દાના અને અમેરિકાના 15 મુદ્દાના યુદ્ધ બંધીના કાગળિયા મૂકાવાના છે તેની વાત કરીએ તો આ રાજકીય ખેંચતાણની સીધી અસર ગ્લોબલ ઈકોનોમી પર પડી રહી છે. ગ્લોબલ તેલ પૂરવઠામાં 13થી 20 ટકા સુધીનો ઘટાડો થયો છે. તેલના ભાવ પ્રતિ બેરલ 140 ડોલરથી વધુ પહોંચ્યા છે. જેણે ટ્રાન્સપોર્ટેશન અને ખેતીના ખર્ચામાં વધારો કરી દીધો છે. જ્યારે દુનિયાના નેતાઓ એસી રૂમમાં બેસીને શરતો પર ચર્ચાઓ કરે છે ત્યારે સામાન્ય નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. થોડા સમય પહેલા થયેલા રશિયા યુક્રેનના યુદ્ધે પહેલેથી જ ફટકો માર્યો છે ને હવે મિડલ ઈસ્ટના યુદ્ધે પણ ખાતર અને તેલ-ગેસના પૂરવઠાને તોડી નાખ્યો છે. જેના કારણે આજે લોકો ભૂખમરાનો સામનો કરવા મજબૂર થઈ ગયા છે. હવે થોડી વાત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના યુદ્ધ પછીની અસરના આંકડાઓની પણ વાત કરીએ. IMF અને WFPએ એટમ બોમ્બ ફોડ્યો વર્ષ 2026 માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે સરેરાશ ગ્લોબલ જીડીપીનો અંદાજ 3.3 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો પણ યુદ્ધના કારણે તેમાં ઘટાડો થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના દેશો કે જ્યાં યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યાં જીડીપી દર 2.4 ટકાથી ઘટીને 1.8 ટકા સુધી આવી શકે તેવી સંભાવના છે. વિસ્તારો મુજબ જીડીપીની સંભાવનાની વાત કરીએ તો અમેરિકાની 2.4, યુરોપની 1.5, ચીનની 4.6 અને દક્ષિણ એશિયાની સરેરાશ 5.1 ટકા જીડીપી રહી શકે તેવો IMFનો અંદાજો છે. હોર્મુઝ બંધ હોવાના કારણે શિપિંગમાં 90 ટકાનો ફટકો પડ્યો છે. કતાર જેવા મોટા ગેસ પ્રોડક્શનવાળા દેશો હવે એક્સપોર્ટ નથી કરી શકતા. જેના લીધે યુરોપમાં વીજળીના ભાવ 60 ટકા જેટલા વધી ગયા છે. તેલના ભાવ પણ પ્રતિ બેરલ 140 ડોલરને પાર પહોંચી ગયા હતા. યુદ્ધમાં ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રીનું ગળું દબાયું સેમિકન્ડક્ટર જેવી વસ્તુઓ બનાવવા માટે જે હિલિયમ અને એલ્યુમિનિયમનો સપ્લાય ખોરવાયો છે તેના કારણે ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રી પણ અટવાઈ છે. દરિયામાં ચાલતા જહાજોના ઈન્શ્યોરન્સની વાત કરીએ તો પ્રિમિયમમાં પણ 50 ટકા વધારો થયો છે, જેનો અલ્ટીમેટ બોજો તો લોકો માથે જ આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું કહેવું છે કે ભૂખમરો થશે તો તેનું સૌથી મોટું કારણ અનાજની કમી નથી પણ ખાતરના ભાવ છે. ખાતર બનાવવા માટે જે એમોનિયા અને નાઈટ્રોજન વાપરવામાં આવે છે તે યુદ્ધ વિસ્તારના દેશોથી જ આવે છે. જો ખેડૂત જ ખાતર નહીં વાપરે તો આવનાર મોસમમાં પાકનું પ્રોડક્શન પણ ઘટી શકે છે. દુનિયા પર દુષ્કાળ અને ભૂખમરાનું જોખમ WFP મુજબ આપણે ભયાનક દુષ્કાળ બાજુ પણ વળી શકીએ તેવી સંભાવના છે. 36.3 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં આવી ગયા છે. 2019માં જેટલો ભૂખમરો હતો આ આંકડો તેનાથી બેગણો છે. આપણી વચ્ચે દુનિયામાં એવા પણ પરિવારો છે તેમને બે ટંકનું ભોજન જ નસીબ નથી થઈ રહ્યું. ભૂખમરાના હોટસ્પોટ દેશોની વાત કરીએ તો… સુદાન અને દક્ષિણ સુદાનમાં સદીનો સૌથી મોટો દુષ્કાળ થઈ શકે છે. યમન દેશ 80 ટકા ખાવાની વસ્તુઓ બીજા દેશ પાસેથી મગાવે છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન તૂટતા હાહાકાર મચ્યો છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો ઈરાન અને પાકિસ્તાનના વેપારી માર્ગો બંધ થતાં 1.2 કરોડ લોકો કટોકટીમાં છે. આફ્રિકામાં આવેલા સોમાલિયા અને ઈથિયોપિયા જેવા દેશો તેલના ભાવ વધતા અનાજના ફાંફાં પડી રહ્યા છે. મિડલ ક્લાસ ખલ્લાસ, ગરીબ પાયમાલ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો માર્ચ 2026માં ખાવાની વસ્તુઓમાં દુનિયા લેવલે સરેરાશ 2.4 ટકાનો ભાવ વધારો થયો છે. તે મોંઘવારીની પહેલી વેવ હતી આ સેકન્ડ વેવ છે. દરેક 10 ટકા તેલના ભાવનો વધારો ગ્લોબલ ઈન્ફ્લેશનમાં 0.4 ટકાનો વધારો કરી દે છે. આ આંકડાઓ એવું કહી જાય છે કે મિડલ ક્લાસ ફેમેલી પાસે ખાવાની વસ્તુઓ છે તે પૂરી થઈ રહી છે અને ગરીબ લોકો પાયમાલ થઈ રહ્યા છે. એવામાં બની શકે કે દુનિયામાં આવનાર સમયમાં સિવિલ વોર કે અનાજ માટેના રમખાણો પણ થઈ શકે છે. 67 લાખ પાકિસ્તાની ભૂખ ભેગા થશે આવી પરિસ્થિતિ છે તો ભારતની આસપાસના દેશોના શું હાલ છે તેની વાત કરવી પણ બને. પાકિસ્તાનની વાત કરીએ તો 67 લાખ લોકો ભૂખમરાની હાલતમાં આવવાના છે અને 35 ટકાનો ફુગાવો પણ થઈ ગયો છે. આ બધુ તેલ-ગેસ-ખાતર વગેરેમાં સપ્લાઈ ચેઈન તૂટી છે તેના કારણે થયું છે. પાકિસ્તાનના મુસાખેલ અને ઝોબમાં 30% ભૂખમરો શ્રીલંકાની જ વાત કરીએ તો 26 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે. 39 ટકા પરિવારોને ખાવાના ફાંફાં પડી શકે છે. બાંગ્લાદેશમાં લાઈટ ગુલ, ફેક્ટ્રીમાં ફાંફાં બાંગ્લાદેશમાં 8-9 ટકા આસપાસ ફુગાવો પહોંચી ગયો છે. લોકોની ખર્ચો કરવાની તાકાત તૂટી ગઈ છે. હોર્મુઝ બંધ હોવાના કારણે ઘઉં અને ગેસની કમી છે. બાંગ્લાદેશની ગાર્મેન્ટ ફેક્ટરીમાં પણ વીજળીના ફાંફાં પડી શકે છે. દુનિયાભરના એક્સપર્ટ્સ ઇસ્લામાબાદ સમિટને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેમનું શું કહેવું છે તેની વાત કરીએ તો માનવતાને ભૂખમરાથી બચવાની છેલ્લી તક વૈશ્વિક નેતાઓના નિવેદનોમાં શાંતિ ઓછી અને આક્રમકતા વધુ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચોખ્ખું કહી રહ્યા છે કે જો હોર્મુઝ નહીં ખુલે તો ઈરાને પરિણામ ભોગવવા પડશે. બીજી બાજુ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની શહીદોના લોહીના વળતરની માંગ કરી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તો સ્પષ્ટ કરી દીધું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામેનું તેમનું ઓપરેશન એટર્નલ ડાર્કનેસ અટકવાનું નથી. આ તમામ નિવેદનો વચ્ચે એક વાત ચોખ્ખી છે, ઇસ્લામાબાદ સમિટ 2026 એ માનવતાને ભૂખમરાથી બચાવવાની છેલ્લી તક છે. જો આ મંત્રણાઓ નિષ્ફળ જશે, તો 2027માં દુનિયાએ એવા અનાજ રમખાણો જોવા પડશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. અને છેલ્લે… પાકિસ્તાનની મીટિંગમાં સસ્પેન્સ વધ્યું છે; ઈરાની ડેલિગેશન હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યું નથી. લેબનોન પર ઈઝરાયેલી હુમલાથી ઈરાન લાલચોળ છે, જેના કારણે 8 એપ્રિલનો યુદ્ધવિરામ હવે જોખમમાં છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ઈરાન પાકિસ્તાન પહોંચી ગયું છે પણ આ સમાચાર માત્ર અફવા નીકળ્યા. શું આ બેઠક ખરેખર યોજાશે? હવે આખી દુનિયાની નજર આવતીકાલના આ ગૂંચવાયેલા ડિપ્લોમેટિક ફેંસલા પર છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેલમાં રહેલા પિતાને કોર્ટમાં મુદત હોય જેથી માધાપર ચોકડી પાસે રહેતો 5 વર્ષનો બાળક તેના ફઈ સાથે પિતાને કોર્ટે મળવા માટે ચાલીને જતો હતો ત્યારે નવી કોર્ટ પાસે અજાણ્યા કાર ચાલક બાળકને અડફેટે લઇ નાસી છુટયો હતો. આ અકસ્માતમાં બાળકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છુટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં માધાપર ચોકડી પાસે જામનગર રોડ પર નાગેશ્વર બસ સ્ટેશન પાસે આવેલા શેઠનગરમાં રહેતો માસુમ બાળક રાજ નિતેશભાઈ વાજેલીયા આજે સવારે 11 વાગ્યા આસપાસ તેના ફઈ વસંતબેન સાથે ચાલીને જામનગર રોડ પર નવી કોર્ટે જતો હતો ત્યારે નવી કોર્ટ વાળા રસ્તે પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા કાર ચાલકે બાળકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. અકસ્માતના પગલે રાજને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજના પિતા નિતેશભાઈ વિરૂધ્ધ ગુનો નોંધાયેલો હોવાથી હાલ તેઓ જેલમાં છે. આજે તેમની કોર્ટમાં તારીખ હોવાથી તેઓ કોર્ટે આવવાના હોવાથી રાજ તેના પિતાને મળવા ફઈ વસંતબેન સાથે ચાલીને કોર્ટે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ યુનિવર્સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લામાં આવેલ પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારાના નવાગામ તળાવ ખાતે એક હ્રદયવિદારી ઘટના સામે આવી છે, જેમાં એક કિશોરીએ તળાવમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કિશોરી પોતાના પ્રેમી સાથે સંબંધમાં હતી. પરંતુ છેલ્લા સમયમાં તેના પ્રેમીનો અન્ય એક યુવતી સાથે લગ્ન કરવાની ચર્ચા ચાલી રહી હોવાનું કિશોરીએ સાંભળ્યું હતું. આ વાતથી કિશોરી માનસિક રીતે અત્યંત વ્યથિત બની ગઈ હતી. અંતે આ દુઃખ સહન ન કરી શકતાં કિશોરીએ પોતાની રીતે નવાગામ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ હોમગાર્ડના જવાનો, સાપુતારા બોટિંગ સ્ટાફ અને નોટિફાઈડ ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. તમામ ટીમોએ તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. અંદાજે દોઢ કલાકની ભારે મહેનત બાદ કિશોરીની લાશ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા કિશોરીની લાશનો કબજો મેળવી તેને શામગહાન CHC દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. હાલ સાપુતારા પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આત્મહત્યાના ચોક્કસ કારણો અંગે વિગતવાર માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટના યુવાનોમાં વધતી માનસિક તણાવ અને લાગણીશીલ નબળાઈ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમાજ અને પરિવાર દ્વારા આવા સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવાની જરૂરિયાત પણ આ બનાવ દ્વારા ઉજાગર થાય છે.
પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 40 બેઠકોના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. બીજી તરફ, કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર કર્યા વિના જ ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી ચૂંટણી લડવા લીલી ઝંડી આપી છે. આ સૂચના મળતા જ આજથી કોંગ્રેસના ઉમેદવારોએ પાટણ પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સરકારી કચેરી પરિસર ગુંજી ઉઠ્યું હતું. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી આજે એક જ દિવસમાં 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસ તરફથી દશરથલાલ જેસંગલાલ ભીલ, આકાશકુમાર દશરથલાલ ભીલ, દક્ષાબેન રજનીકાંત સોલંકી, સુરેશકુમાર મફતલાલ પટેલ અને મનીષાબેન જશવંતભાઇ ઠકકરે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી (AAP) તરફથી હિતેશકુમાર જયંતિભાઇ પટેલ, ધર્માભાઇ શિવાભાઇ ચમાર, ઉપેશ પનાલાલ પંચાલ અને રાજેશ ભેમજી ભાઈ ઠાકોરે ફોર્મ ભર્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે પુનમભાઇ શકરાભાઇ પટણી અને ભરતકુમાર જયંતીલાલ ભાટીયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ચૂંટણી જંગમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કોંગ્રેસની આ રણનીતિને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી, તંત્ર દ્વારા પ્રાંત કચેરી ખાતે ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. હાલમાં, તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ વોર્ડ વાઈઝ પ્રચાર અને સંગઠનની કામગીરી પર ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે.
રોગચાળાને નાથવા માટે સુરત મહાનગરપાલિકાએ અત્યારથી જ કમર કસી છે. સુરતના પૂર્વ ઝોન-એ (વરાછા) વિસ્તારમાં વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગ દ્વારા પ્રી-મોન્સૂન સર્વેક્ષણ અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ રહેણાંક વિસ્તારોથી લઈને મેટ્રો પ્રોજેક્ટ જેવી મોટી બાંધકામ સાઇટ્સ સુધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વરસાદ પહેલા મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો શોધવા મનપાની ઝુંબેશસુરત મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના હેઠળ, વરાછા ઝોનના V.B.D.C. વિભાગ દ્વારા તારીખ 6 માર્ચ, 2026થી 10 એપ્રિલ, 2026 સુધીના સમયગાળામાં એક સર્વગ્રાહી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદ પહેલા મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો શોધી તેનો નાશ કરવાનો છે, જેથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાતા અટકાવી શકાય. 57000થી વધુ ઘરોમાં ટાંકા, ફૂલદાની, ભંગાર વગેરેની તપાસઆ કામગીરી દરમિયાન પાલિકાની ટીમોએ મોહન કાકાની ચાલ, રેલ્વે કોલોની, પટેલ નગર, ડાહ્યા પાર્ક, સીતારામ સોસાયટી, કલ્યાણ નગર અને વલ્લભ નગર જેવા ગીચ અને રહેણાંક વિસ્તારોને આવરી લીધા હતા. કુલ 57,229 ઘરોનો પ્રત્યક્ષ સર્વે કરવામાં આવ્યોઆ ઘરોમાં રહેલા કુલ 1,52,230 કન્ટેનરો પાણીના ટાંકા, ફૂલદાની, ભંગાર વગેરેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. 57 મકાનમાલિકોને નોટિસ ફટકારીતપાસ દરમિયાન કુલ 307 સ્થળો પર મચ્છરના લાર્વા (પોરા) મળી આવ્યા હતા, જેમાં સૌથી વધુ એડીસ (233) અને એનોફિલીસ (42) ના સ્થાનો હતા.પાલિકાએ માત્ર તપાસ જ નથી કરી, પરંતુ તુરંત જ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી, જવાબદાર 57 મકાનમાલિકોને કાયદેસરની નોટિસ ફટકારી છે. 84 બાંધકામ સાઇટ્સ પર મનપાની તપાસ શહેરમાં ચાલી રહેલા મોટા બાંધકામો હંમેશા મચ્છર ઉત્પત્તિ માટેના સંવેદનશીલ કેન્દ્રો રહ્યા છે. વરાછા ઝોન-એ દ્વારા આ બાબતે સખત વલણ અપનાવવામાં આવ્યું છે. લક્ષ્મીપાર્ક ઇન્ડસ્ટ્રી, કર્મ બિઝનેસ હબ, આરાધના ટેક્ષટાઈલ માર્કેટ અને ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટ જેવી કુલ 84 બાંધકામ સાઇટ્સ પર તપાસ કરવામાં આવી હતી. 50 હજારનો દંડ ફટકાર્યોબાંધકામ સાઇટ્સ પર સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી 5,944 કન્ટેનરોની તપાસમાં 106 પોઝિટિવ સ્પોટ્સ મળી આવ્યા હતા. ઈડન ટેક્ષપા, કબીરવાડી, ભક્તિ નગર સોસાયટી અને પ્રમુખ પાર્ક જેવા બાંધકામ એકમોમાં બેદરકારી સામે આવતા પાલિકાએ લાલ આંખ કરી છે. ગંભીર બેદરકારી બદલ બિલ્ડરો અને ઈજારદારો પાસેથી કુલ રૂ. 49,400નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે. લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજનપાલિકા વહીવટી તંત્રનું માનવું છે કે માત્ર દંડથી રોગચાળો અટકાવી શકાય નહીં, લોકજાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આથી, ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં ‘માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર’ (IEC) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના ટાયર, ખુલ્લા ડબ્બા, ફૂટેલા માટલા જપ્ત કરીને સ્થળ પરથી હટાવાયાભરત કેન્સર હોસ્પિટલની આસપાસ, રુસ્તમ બાગ સ્વામીનારાયણ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર અને કાપોદ્રા ટાંકલી ફળીયા જેવા વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અહીં આરોગ્ય વિભાગની ટીમોએ સ્થાનિક લોકોને મચ્છરથી બચવાના ઉપાયો અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સમજણ આપી હતી. ખાસ કરીને મચ્છર ઉત્પત્તિ થઈ શકે તેવો 216 નંગ પડતર સામાન જેમ કે જૂના ટાયર, ખુલ્લા ડબ્બા, ફૂટેલા માટલા જપ્ત કરીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. પીવાના કે વાપરવાના પાણીની ટાંકીઓ બંધ રાખોપાલિકા દ્વારા પૂર્વ ઝોન-એ (વરાછા)ના રહીશો અને વેપારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં સર્વેની કામગીરી વધુ તેજ બનશે. પાલિકાએ જાહેર જનતાને અપીલ કરી છે કે, ઘર કે ધાબા પર પડેલા નકામા સાધનો કે જેમાં પાણી ભરાઈ શકે તેમ હોય તેનો તાત્કાલિક નિકાલ કરવો. પીવાના કે વાપરવાના પાણીની ટાંકીઓ હંમેશા હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવી. પક્ષીકુંડા, કુલર અને કુંડાના નીચેની પ્લેટો સપ્તાહમાં એકવાર સાફ કરી સૂકવી નાખવી.
સોમવારે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ રાજકોટમાં આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. 50 વિધાર્થીઓને એમ.બી.બી.એસ સ્નાતક ડિગ્રી અપાશે, જેમાંથી 10ને ગોલ્ડ મેડલ મળશે. 25 ફેબ્રુઆરી 2024ના રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રેસકોર્સમાં આવતીકાલથી 17 એપ્રિલ ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાશે, વર્લ્ડ રેકોર્ડ યજ્ઞનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે તા. 11 થી 17 એપ્રિલ 2026 દરમિયાન ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે બપોરે 3:00 વાગ્યે BAPS મંદિરથી રેસકોર્સ સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. જેમાં 2,500થી વધુ મહિલાઓ અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં જોડાઇ હતી. મુખ્ય આકર્ષણ તરીકે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ વક્તા અપૂર્વમુનિ સ્વામી સતત 6 દિવસ સુધી હૃદયસ્પર્શી પ્રવચનો આપશે. આ ઉપરાંત, 3 થી 13 વર્ષના બાળકો દ્વારા દરરોજ પારિવારિક શાંતિ યજ્ઞ યોજાશે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે. મહોત્સવના અંતિમ દિવસે 17 એપ્રિલે વિરાટ મહિલાદિન અંતર્ગત ‘લક્ષ્મણરેખા’ વિષય પર વિશેષ કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ માટે 4 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં 50,000 ખુરશીઓ, 1,000 સોફા, 40 ફૂટની વિશાળ LED સ્ક્રીન અને 135 ફૂટ પહોળા બે કલાત્મક પ્રવેશદ્વાર તૈયાર કરાયા છે. મેદાનમાં 25 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની પ્રતિમા અને 7 સનાતન મંદિરોની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. ધાર્મિક મહોત્સવમાં સૌપ્રથમ આધ્યાત્મિક સંદેશાઓ માટે AI ટેકનોલોજી, ડિજિટલ વિઝયુઅલ્સનો ઉપયોગ કરવામાં આવશે. કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી તથા સંત મંડળે તમામ ધર્મપ્રેમી જનતાને દિવ્ય મહોત્સવમાં પધારવા અપીલ કરી છે.
પાટનગરમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે નાગરિકોને લૂ અને હીટ વેવથી બચાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મે માસના મધ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર જવાની શક્યતાને જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 14 વ્યસ્ત વિસ્તારોમાં છાંયડા માટે મંડપ અને પીવાના પાણીની પરબોહવામાન વિભાગની આગાહી મુજબ મે માસના મધ્યમાં તાપમાનનો પારો 39 સેન્ટીગ્રેડને પાર જવાની શક્યતાના પગલે મનપા તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના 14 વ્યસ્ત વિસ્તારોમાં છાંયડા માટે મંડપ અને પીવાના પાણીની પરબો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અન્ય 50 જેટલી પરબો કાર્યરત કરી દેવાઈ છે. 5,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરાયુંઆ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ અને ટ્રાફિક સિગ્નલ જેવા પોઈન્ટ્સ પર અત્યાર સુધીમાં 5,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવાનું પણ આયોજન છે. હીટ સ્ટ્રોકના લક્ષણો જાણોમનપા તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સુતરાઉ કપડાં તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. આરોગ્ય શાખાએ ખાસ તાકીદ કરી છે કે જો માથું દુખવું, ઉલટી-ઝાડા કે ચક્કર આવવા જેવા હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વધુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને ભારે શારીરિક શ્રમ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી પરીક્ષામાં મોડાસાની બે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. PGDCA સેમેસ્ટર-૨માં ખાનજી અકશા જે. અને BCA સેમેસ્ટર-૬માં પટેલ જાનવીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થિનીઓનો પદવીદાન સમારોહ પાટણ ખાતેની યુનિવર્સિટીમાં યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી હતી. ડો. એન. શાહ પીજીડીસીએ અને બીસીએ કોલેજ, મોડાસા માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ જે. મોદી અને પ્રભારીમંત્રી પરેશભાઈ બી. મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, કોલેજના કાર્યકારી આચાર્ય સંજયભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે પણ બંને વિદ્યાર્થિનીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવાર સાંજ સુધી તેના 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધીમાં કુલ 511 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જ્યારે માત્ર 75 ફોર્મ જ ભરાયા છે. શુક્રવારે દિવસ દરમિયાન વધુ 44 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે, ભાજપે તેના સત્તાવાર ઉમેદવારોના નામ શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી પણ જાહેર કર્યા ન હતા. આ દરમિયાન, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના કેટલાક અગ્રણીઓએ સંભવિત ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. ચૂંટણી વિભાગના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે 171 ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 511 ઉમેદવારી પત્રો ઉપડ્યા છે. ગુરુવાર સુધીમાં 31 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં શુક્રવારે ભરાયેલા 44 પત્રો ઉમેરાતા કુલ આંકડો 75 પર પહોંચ્યો છે. આ પૈકી વોર્ડ નંબર 1થી 4માં 23, વોર્ડ નંબર 5થી 9માં 31 અને વોર્ડ નંબર 10થી 13માં 21 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે, જે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની તક છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસેથી ચૂંટણી લડવા માટે 427 દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. ટિકિટના દાવેદારોની આ મોટી સંખ્યાને કારણે ભાજપના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અસંતોષ ફાટી નીકળવાની શક્યતા છે. નારાજ થયેલા ભાજપના કાર્યકરો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. શનિવારે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે તે જોવું રસપ્રદ રહેશે.
વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો:વોર્ડ નં. 18માં આયાતી ઉમેદવારો સામે કાર્યકરોનો બળવો
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં ભાજપ દ્વારા બે 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવાર ચેતન પરમાર અને દીપા પંચાલની પસંદગી સામે દાવેદારો અને કાર્યકરોએ પરિવારવાદનો આક્ષેપ કરી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ અસંતોષને પગલે મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. ટિકિટ જાહેર થયા બાદ વોર્ડના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક દાવેદારોએ આક્ષેપ કર્યો છે કે પક્ષ દ્વારા લાયક સ્થાનિક નેતાઓની અવગણના કરીને બહારના ઉમેદવારોને થોપી દેવામાં આવ્યા છે. આ મામલે રજૂઆત કરતા એક દાવેદાર જાહેરમાં ભાવુક થઈ ગયા હતા અને પક્ષના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવારો બદલવામાં નહીં આવે તો તેઓ તેમના સમર્થકો સાથે પક્ષમાંથી રાજીનામા આપી દેશે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ ધારાસભ્ય યોગેશ પટેલના અગાઉના નિવેદનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્યએ પોતે કહ્યું હતું કે જો બહારના ઉમેદવાર આવે તો લડજો. હવે જ્યારે ખરેખર આયાતી ઉમેદવારો આવ્યા છે, ત્યારે સ્થાનિક સંગઠન લડત આપવાના મૂડમાં છે. કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે ટિકિટ વિતરણમાં પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે પાયાના કાર્યકરો સાથે અન્યાય સમાન છે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર આજે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે. ઉપપ્રમુખને દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાતરાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે. 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા ધુરંધરો કપાઇ ગયાજિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે. જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતાની ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ કાપીરાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. ગત 2021ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનરલ બેઠકો પુરુષ 13, સ્ત્રી 14 હતી જેમાંથી જનરલ પુરુષમાંથી 5 અને સ્ત્રીઓમાંથી 4 મળી કુલ 9 બેઠક પરથી ઓબીસીને લડાવવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતુંવર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા જેમાં જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી. જયારે ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો હતો.
બોટાદ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને આંતરિક હલચલ જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ કાર્યાલય દ્વારા આશરે 25 થી 30 જેટલા કાર્યકરોને ફોન કરીને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સૂચના અપાઈ છે. આ કાર્યકરોમાં હરેશભાઈ ધાંધલ, રવજીભાઈ વાટુકિયા, નિતીન સુતરીયા, નિકાબા પરમાર, દિનેશ દલસાણીયા, રાજેશ માથુકિયા, કમા મીર, ગીતાબેન ગોલાણી, હેમાનગીબેન રંગાણી અને વનરાજ રાઘવાણીનો સમાવેશ થાય છે. તેમને આગામી દિવસમાં ફોર્મ ભરવા જણાવાયું છે. બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને કુલ 44 બેઠકો છે. તેમાંથી લગભગ ૩૦ જેટલા કાર્યકરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ફોન મળ્યા બાદ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાક્રમ વચ્ચે, વર્તમાન સભ્યોમાંથી કોને ફરી તક મળશે અને કોની ટિકિટ કપાશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં, ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. હવે સૌની નજર ભાજપ દ્વારા સત્તાવાર યાદી ક્યારે જાહેર થાય છે અને કયા ઉમેદવારોને ટિકિટ મળે છે તેના પર રહેશે.
જામનગર શહેરના એક બ્રાસપાર્ટ વેપારી સાથે GST એકાઉન્ટ પુનઃ કાર્યરત કરાવવાના બહાને 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલો શું છે?જામનગરમાં 'શ્રી કલ્પ એન્ટરપ્રાઈઝ' નામે બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશ તરાવિયાનું GST એકાઉન્ટ વર્ષ 2025માં વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા માટે તેમણે જગદીશ રામોલીયાનો સંપર્ક સાધ્યો હતો. જગદીશ રામોલીયાએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર પ્રભારી પ્રકાશ દોંગાની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. ટેક્સ ભરવાના નામે નાણાં પડાવ્યાGST સંબંધિત કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સની રકમ ભરવાના બહાને આરોપીઓએ ઓક્ટોબર 2025માં વેપારી પાસેથી કુલ 60 લાખ મેળવ્યા હતા. વેપારીએ આ રકમ GST એકાઉન્ટમાં જમા કરાવવા અને પ્રોસેસિંગ ફી પેટે ચૂકવી હતી. જોકે, આરોપીઓએ આ નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. પોલીસ ફરિયાદ અને તપાસલાંબો સમય વીતવા છતાં GST એકાઉન્ટ ચાલુ ન થતા અને નાણાં પરત ન મળતા વેપારીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ અંગે પંચકોશી B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે કોર્ટ પાસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિની સંડોવણીને પગલે જામનગરના વેપારી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આ રકમ ક્યાં વપરાઈ અને અન્ય કોઈ વેપારીઓ આ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો...: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું
Keir Starmer on Iran war: વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ અને ખાસ કરીને ઈરાન યુદ્ધને કારણે પેદા થયેલા ક્રૂડ સંકટની અસરો હવે બ્રિટનમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કીઅર સ્ટારમરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. સ્ટારમરનું કહેવું છે કે, આ બંને દેશોની નીતિઓને કારણે બ્રિટનના સામાન્ય લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. હું કંટાળી ગયો છું..
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. બે અગ્રણી નેતાઓ, ધર્મેન્દ્ર મહેતા અને અનિરુદ્ધસિંહ વાજાએ પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના વર્તમાન સભ્ય ધર્મેન્દ્ર મહેતાએ ભાજપના સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તેવી જ રીતે, સાવરકુંડલા શહેર ભાજપના સક્રિય કાર્યકર અને શક્તિકેન્દ્રના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ વાજાએ પણ પક્ષના હોદ્દાઓ અને સક્રિય સભ્યપદ છોડી દીધું છે. ભાજપ છોડ્યા બાદ આ બંને નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જ્યારે અનિરુદ્ધસિંહ વાજાએ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષ વતી ઉમેદવારી નોંધાવી છે. આ ઘટના ધારાસભ્ય મહેશ કસવાલાના હોમટાઉન સાવરકુંડલામાં બની હોવાથી રાજકીય રીતે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે અને ભાજપ માટે પડકારો વધી શકે છે.
અમદાવાદથી વર્ષા કટારા દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન અને અન્ય સંસ્થાઓને પક્ષકાર બનાવીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે સાબરમતી વિસ્તારના વોર્ડ નંબર 4 ની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા વિનંતી કરી હતી. યાદીમાં નામ ઉમેરવાની અરજી 1 એપ્રિલ, 2026ના મંજૂરઅરજદારનું નામ SIR પ્રક્રિયા બાદ વિધાનસભા મતવિસ્તારની યાદીમાં ન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક યાદીમાં પણ તેમનું નામ આવ્યું નહોતું. તેમણે 23 માર્ચ, 2026 ના રોજ નામ ઉમેરવા માટે ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. વિધાનસભા મતવિસ્તારની યાદીમાં નામ ઉમેરવાની તેમની અરજી 1 એપ્રિલ, 2026 ના રોજ મંજૂર કરવામાં આવી હતી. અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા હકદારકોર્ટે અવલોકન કર્યું હતુ કે રાજ્ય ચૂંટણી પંચનું કાર્ય વિધાનસભાની મતદાર યાદીમાંથી AMC ની મતદાર યાદી તૈયાર કરવાનું છે અને તેને સ્વતંત્ર રીતે નામ ઉમેરવા કે ઘટાડવાનો અધિકાર નથી. કોર્ટે જણાવ્યું હતું કે વિધાનસભાની યાદીમાં નામ સામેલ થતા જ અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હકદાર બને છે. વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશઅરજદારે 10 દિવસની નિયત સમય મર્યાદા પહેલા અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા અરજી કરી હોવાથી, તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું જરૂરી છે. હાઈકોર્ટે આ અરજી મંજૂર કરી છે અને અરજદારનું નામ વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશ આપ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં મરતોલી અને અજબપુરા ગામના અંદાજે 200 જેટલા પાટીદાર યુવાનો અને આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં આ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. 'ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી 'કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર અગ્રણી મહેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરવામાં આવી રહી છે. સમાજની વેલ્યુ ન જળવાતી હોવાને કારણે મરતોલી અને અજબપુરા ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેના પરિણામે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવા યુવાનોનો સંકલ્પનવા જોડાયેલા યુવાનોએ સંકલ્પ કર્યો છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મરતોલી તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવશે. મહેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ આજીવન કોંગ્રેસના સમર્થક રહેશે અને દેશને એકસૂત્રે જોડવા માટે કાર્ય કરશે. કાર્યકરોમાં એવો વિશ્વાસ જોવા મળ્યો હતો કે જનહિત માટે કોંગ્રેસ શાસન અનિવાર્ય છે. પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાચૂંટણી પહેલા જ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડતા અને મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જ્યારે કોંગ્રેસમાં નવા જોમ અને ઉત્સાહનો સંચાર થયો છે.

28 C