પારડી તાલુકાના સોનવાડા ગામમાં એક ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પારડી પોલીસે 18 ડિસેમ્બર, 2025ના રોજ ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ દારૂનો જથ્થો સોનવાડા ગામના બ્રામણ ફળીયામાં આવેલા એક ઘરની બાજુના શેરડી અને જુવારના ખેતરમાંથી મળી આવ્યો હતો. આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો પહોંચાડવાના પ્રયાસોને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ અને પારડી PI જી.આર. ગઢવીના નેતૃત્વ હેઠળ પારડી પોલીસ ટીમ પારડીના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સોનવાડા ગામ ખાતે રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિરાજ મુકેશભાઈ પટેલના ઘરની બાજુમાં આવેલા શેરડી અને જુવારના ખેતરમાંથી દારૂ ભરેલા પુઠાના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કુલ 45 બોક્સમાંથી 1,488 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹2,75,040/- આંકવામાં આવી છે. સ્થળ પર ઈ-સાક્ષ્ય એપ દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપીના ઘરની તપાસ દરમિયાન તેનું આધારકાર્ડ અને વીજળી બિલ પણ મળી આવ્યા હતા. આ મામલે સોનવાડા ગામ, બ્રામણ ફળીયા, તા. પારડી, જી. વલસાડના રહેવાસી વિરાજ મુકેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) અને 116(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
સુરેન્દ્રનગર LCB PI જાડેજા સસ્પેન્ડ, ટીમ વિસર્જન:SMCની રેડ બાદ રેન્જ IGની કડક કાર્યવાહી
સુરેન્દ્રનગરમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવે LCB પીઆઇ જે.જે.જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે LCB ટીમનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. એક સપ્તાહમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા ત્રણ રેડ પાડવામાં આવતા રેન્જ આઇજી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. SMC દ્વારા સતત રેડ પાડવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા હતા. ગુનાખોરી રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પગલાં લેવાનો રેન્જ આઇજી અશોકકુમાર યાદવે નિર્ણય લીધો હતો. આ કડક કાર્યવાહી સુરેન્દ્રનગરમાં ગુનાખોરીને નિયંત્રિત કરવા અને પોલીસ તંત્રમાં જવાબદારી સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે કરવામાં આવી છે.
ઘોરાડ પક્ષીની ચિંતા:તો ઘોરાડ લુપ્ત થઇ જશે, રાજ્યસભામાં ફરી શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવ્યો
દુનિયાભરમાં રાજસ્થાન બાદ માત્ર કચ્છમાં બચેલા ઘોરાડ પક્ષીની ચિંતા રાજ્યસભામાં ફરી એક વખત દેખાઈ હતી. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ઘોરાડનો મુદ્દો ઉઠાવી પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વિપક્ષનો અવાજ સશક્ત કર્યો હતો. નલિયાના ઘાસીયામેદાનમાં છેલ્લા ત્રણ બચેલા દુર્લભ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે, ઘોરાડની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત આ પક્ષીની દયનિય સ્થિતિ અંગે ગોહિલે રાજ્યસભામાં કહ્યું કે, આ પક્ષી સંરક્ષણ પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. ઘોરાડ માટે એક અભયારણ્ય છે, પરંતુ પવનચક્કીના કારણે પક્ષીઓના મૃત્યુની સંખ્યા વધી રહી છે. ગોહિલે આ મુદ્દે તપાસની માંગ સાથે સરકારને જાગૃત થવા જણાવ્યું હતું. કારણ કે, અભયારણ્યની જમીનને કોઇ ઉદ્યોગપતિને આપીને ઘોરાડને ખતમ કરવાનું કામ તો નથી થઇ રહ્યું ને? તેવો ગંભીર આક્ષેપ પણ કરાયો હતો. ગેહલોત સરકારે કરેલી નર ઘોરાડની ઓફર ઠુકરાવીશક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સણસણતો આક્ષેપ કરતા ઉમેર્યું કે, અશોક ગેહલોત જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતમાં ઘોરાડને લુપ્ત થતા બચાવવા માટે રાજસ્થાનમાંથી એક નર ઘોરાડ આપવાની ઓફર કરી હતી, પરંતુ સરકારે આ અંગે કોઇ ચિંતા ન દર્શાવતા આજે માત્ર ત્રણ માદા પક્ષીઓ જ બચી છે. આ ત્રણ પક્ષીઓના મૃત્યુ પછી કચ્છ અને ગુજરાત માટે ગૌરવનું પ્રતીક એવું ઘોરડ સંપૂર્ણપણે લુપ્ત થઇ જશે. વિપક્ષ બન્યો ઘોરાડનો અવાજ, સત્તાપક્ષ રહ્યો મૌન !શક્તિસિંહ હમેંશા ઘોરાડ મુદ્દે પક્ષીને સતત શક્તિ આપી રહ્યા છે. જુલાઈ 2021,ફેબ્રુઆરી 2022 અને અવારનવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઘોરાડનો મુદ્દો ઉઠાવ્યો છે. 2025માં ફરી તેઓ ગર્જ્યા હતા. રાજ્યમાં વાઘ આવે તો નેતાઓ ખુશ થાય છે, સિંહ માટે સૌરાષ્ટ્રના નેતાઓ અવાજ ઉઠાવવા અચકાતા નથી. પરંતુ ઘોરાડ માટે સત્તાપક્ષના કોઈ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને વિપક્ષ હમેંશા ફ્રન્ટફૂટમાં આવીને સંરક્ષણ અને સંવર્ધનની માંગ કરે છે.
સેમિનાર:ગાંધીધામમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિ. હેઠળ સેમિનાર યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગાંધીધામ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમનું યોગદાન રહ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ કાયદા અંતર્ગત કોણ ફરિયાદ કરી શકે, ફરિયાદ ક્યાં નોંધાવી શકાય, કોર્ટ તરફથી મળતા આદેશો તથા અધિનિયમની મુખ્ય જોગવાઇઓ અંગે માહિતી આપી હતી. DHEWના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ સાથે કાયદાકીય માહિતી તથા મહિલાઓ સશક્ત બને અને હિંસા સહન ન કરે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેને OSC વિષે માહિતી આપી હતી. કેતન ગોહેલ, આકાશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમ દ્વારા જણાવાયું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને હક્કો અંગે સકારાત્મક જનજાગૃતિ લાવે છે.
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ ટી-20 મેચોની સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગઈકાલે સાંજે જ બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ હતી. ટીમ ઈન્ડિયા ITC નર્મદા હોટેલ તો સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાઈ. અમદાવાદ પોલીસે પણ મેચને ધ્યાને રાખી સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા કરી છે તો મેટ્રો સેવા પણ રાત્રે 12:30 સુધી લંબાવવામાં આવી છે. મેચ દરમિયાન વાહનોને લઈ જાહેરનામુંનરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આજે યોજાનારી ટી-20 મેચમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થવાની હોય પોલીસ કમિશનર દ્વારા વાહનવ્યવહારને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. આજે યોજાનારી મેચને લઈ મેટ્રો મોડી રાત સુધી ચાલુ રહેશેઆજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી પાંચમી ટી-20 મેચને ધ્યાનમાં રાખી મેટ્રોનો સમય રાત્રિના 12.30 સુધી લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ)ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે ઉપડશે. સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા માટે સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવીઆ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડી છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં. રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે. સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-1 મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યે તેમજ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ 12:10 વાગ્યે ઉપડશે. અમદાવાદમાં આજનું હવામાન કેવું રહેશે?17મી ડિસેમ્બરે લખનઉમાં રમાનારી ચોથી ટી-20 મેચ ધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી. લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે સાંજે 7 વાગ્યાથી રમાવાની હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં. અમ્પાયરોએ 6 વાર સ્થિતિનું નિરીક્ષણ કર્યું, પરંતુ રાત્રે 9:30 વાગ્યા સુધી સ્થિતિમાં સુધારો ન થતા મેચ રદ કરી દેવામાં આવી હતી. સીરિઝની અંતિમ પાંચમી ટી-20 મેચ આજે અમદાવાદમાં રમાવાની છે ત્યારે હવામાન વિભાગના મતે મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવના છે.
રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ તકેદારીના ભાગરૂપે ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, IGP પી. એલ. માલ તથા S.P. એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ગ્રામસભાઓ યોજવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટરના DYSP આર. એમ. ચૌધરીના અધ્યક્ષસ્થાને મરીન કમાન્ડો ટીમ સાથે મળીને અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલ નીમણી વાંઢ અને મોહાડી જેવા સરહદી ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભા દરમિયાન ગ્રામજનોને શંકાસ્પદ વ્યક્તિઓની હલચાલ, અજાણી અથવા શંકાસ્પદ બોટો, તેમજ ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર મુદ્દાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરક્ષા દૃષ્ટિએ કોઈપણ શંકાસ્પદ પ્રવૃતિ નજરે પડે તો તાત્કાલિક પોલીસ અથવા મરીન ટાસ્ક ફોર્સને જાણ કરવા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. મરીન કમાન્ડો ટીમ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા માટે જનસહભાગિતા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે માર્ગદર્શન આપીને ગ્રામજનોને હંમેશા સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા લોકો દ્વારા પ્રશ્નોત્તરી મારફતે પણ સુરક્ષા સંબંધિત માહિતી મેળવી હતી. આ સમગ્ર આયોજનને ગ્રામજનો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામજનોએ સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવાની તૈયારી દર્શાવી રાષ્ટ્રીય સુરક્ષા માટે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીનો મંત્રી રૂપિયા 2.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.મંડળીના સભાસદોની વાર્ષિક ગીફ્ટના રૂપિયા 7.52 લાખનું બીલ મંજુર કરવાના કમીશન પેટે મથલની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપીએ લાંચની માંગણી કરી હતી.જે બાદ એસીબીએ ભુજમાં જલારામ ભોજનાલયના ગેટ નજીક છટકુ ગોઠવી તેને દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી અને કારોબારી સભ્ય તેમજ મથલની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી ઘનશ્યામ મનોરભાઈ પટેલને એસીબીએ રૂપિયા 2.80 લાખની લાંચ લેતા ઝડપી લીધો છે.નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના સભાસદોને વાર્ષિક ગીફ્ટ આપવા માટે ફરિયાદીને ઓર્ડર આપવામાં આવ્યો હતો.જેથી ફરિયાદીએ ઓર્ડર પ્રમાણે માલ સપ્લાય કરી આપ્યો હતો.જેના બીલની રકમ રૂપિયા 7.52 લાખ હતી.ફરિયાદીએ પોતાના બીલ રજુ કર્યા ત્યારે આરોપીએ તેને મંજુર કરી આપવા માટે પોતાને કમીશન પેટે રૂપિયા 2.80 લાખની લાંચ આપવા કહ્યું હતું.લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો.જેથી ભુજ એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ એસીબીના પીઆઈ એલ.એસ.ચૌધરીએ આરોપીને ઝડપી લેવા છટકુ ગોઠવ્યું હતું.આરોપીએ લાંચની રકમ આપવા માટે ફરિયાદીને ગુરુવારે અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ નજીક જાહેર રોડ પર બોલાવ્યો હતો.જેથી ફરિયાદી આરોપીને લાંચના રૂપિયા આપવા માટે સ્થળ પર ગયા હતા અને રૂપિયા 2.80 લાખ આરોપીએ લેતા જ એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. 1 લાખથી વધુ પગાર-નિવૃત્તિના 4 વર્ષ પહેલા લાંછનસમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેનો માસિક પગાર અંદાજીત રૂપિયા 1 લાખથી વધુ છે.વધુમાં આ બાબતે એસીબીના પીઆઈ એલ.એસ.ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી પોતાની શિક્ષક તરીકેની ફરજ પરથી નિવૃત થવામાં ચાર વર્ષ બાકી હતા.આ ઉપરાંત આરોપીના પત્ની પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:ખાવડાથી નાગપુર 800 KVની લાઇનને લીલીઝંડી
ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા દેશની ઉર્જા સુરક્ષા અને રિન્યુએબલ એનર્જીના વહન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાવડા ખાતે નિર્માણાધીન રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી ઉત્પન્ન થતી વીજળીને મહારાષ્ટ્રના નાગપુર સુધી પહોંચાડવા માટે અતિ આધુનિક ટ્રાન્સમિશન લાઇન નાખવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. ભારત સરકારના 1 ડિસેમ્બર 2025ના ગેઝેટ મુજબ આ કામગીરી ‘મેસર્સ પાવરગ્રીડ વેસ્ટ સેન્ટ્રલ ટ્રાન્સમિશન લિમિટેડ’ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2024 માં પૂર્વ મંજૂરી મળી હતી. ત્યારબાદ મે 2025માં વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. યોજના અંતર્ગત ખાવડા પોલીંગ સ્ટેશન-2 થી નાગપુર સુધી 800 કેવી હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન બાયપોલ લાઇન બિછાવવામાં આવશે. આ ઉપરાંત વર્ધા-રાયપુર 765 કેવી ડી/સી લાઇનને પણ નાગપુર ખાતે જોડવામાં આવશે. આ હાઈ-વોલ્ટેજ લાઇન કચ્છ, માળિયા, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લા તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થશે. કચ્છના 3 તાલુકાના 121 પ્રભાવિત ગામોપારગ્રીડ વેસ્ટ સેન્ટ્રલ ટ્રાન્સમિશન દ્વારા ઉભી થનારી વીજ લાઈન ભુજ, અંજાર અને ભચાઉ તાલુકાના 121 ગામોમાંથી પસાર થશે જેમાં ખાવડા, ધ્રોબાણા, કુરન, દીનારા, રતાડિયા, લુડિયા, કાળો ડુંગર, ગોરો ડુંગર, ગોડપર, સોયલા, ખારી, સરગુ, દેઢિયા, વાઘુરા, ભીરંડીયારા, નેરી, મઢન, મિસરીયાડો, ભોજરડો, સુમરાસર, ઢોરી, કુનરિયા, કોટાય, ફુલાય, બેરડો, ધ્રંગ, લોડાઈ, હબાઈ, વાંત્રા, વાણધરા, ખરોડ, જવાહરનગર, મોડસર, નલિયેરી, કાકરા કુવા, સુમરાપોર, મોખાણા તળાવ, મોટા કોટડા, ડાંડી, રતડિયા, પૈયા, કક્કડ, ધોરાવર, અક્લી, કૈયારી, ભિંરડીયારા વાંઢ, અંધૌ, પરેલી, વાઘુરા, છછી, ઉમ્મેદપર, કેશવનગર, ખેંગારપર સહિતના ગામો જયારે અંજારના ખીરસરા, હીરાપર, નવાગામ, દેવીસર, ખેંગારપર, ચાંદ્રાણી, કોટડા, દુધઈ, ધમડકા, બુઢારમોરા, ટપ્પર, પશુડા, અમરાપર, મોટા ખીરસરા, ખીરસરા (મિયાણા), યમુનાનગર, સંતરામ નગર, મોરી, મદનસર, ઇન્દ્રપ્રસ્થ, ફતેહપુર, ભવાનીપુર, મીઠા વીરડાનો સમાવેશ થાય છે. જયારે ભચાઉ તાલુકાના ભુજપર, સુખપર, મોરગર, મોડપર, આમરડી, લુણવા, ચીરઈ મોટી, ચોપડવા, શીકરા, કુંભારડી, કબરાઉ, ભચાઉ, વોંધ, છાડવાડા, આમલિયારા, દયાપર, લલીયાણા, જંગી, વાંઢિયા, રામેશ્વર નગર, શ્રીકૃષ્ણ નગર, ગુણાતીતપુર, પશુડા, નવી મોટી ચિરઈ, ગડાસર, જસુબાઈ, રામપર, ગોરાસર, ભીમાસર, નવા કટારિયા, લખધીરગઢ, લાખાપર, મોરપર સહીતના ગામોમાંથી વીજ લાઈન પસાર થશે. ખેડૂતોને પાક અને ઝાડનું વળતર ચૂકવવા જોગવાઈ નક્કી કરાઈખાવડાથી નાગપુર સુધી વીજળી પહોંચાડવા માટે અતિ આધુનિક ટ્રાન્સમિશન લાઇનને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. જેમાં ખેડૂતોને પાક અને ઝાડનું વળતર આપવાની જોગવાઈની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્રાન્સમિશન લાઇન નાખતી વખતે જો ખેડૂતના ઊભા પાકને નુકસાન થાય અથવા ફળદ્રુપ ઝાડ કાપવા પડે, તો રાજ્ય સરકારના મહેસૂલ દર મુજબ રોકડ વળતર મળશે. તેમજ ખેતરમાં જે જગ્યાએ ટાવરનો પાયો નાખવામાં આવશે તે જમીનની કિંમત અને તેના રાઈટ ઓફ વે મુજબ કંપની વળતર ચૂકવવા બંધાયેલ છે. ભારતીય ટેલિગ્રાફ એક્ટ હેઠળ જમીન માલિકી ખેડૂતની જ રહેશે, પરંતુ લાઇન નીચેના પટ્ટામાં બાંધકામ પર પ્રતિબંધ રહેશે, જેના બદલામાં વળતરની જોગવાઈ છે. આ વળતર મુદે જો કોઈ ખેડૂતને અસંતોષ હોય તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી શકે છે. વળતરની રકમ જમીન માલિકના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તાજેતરમાં જ વાંઢિયામાં થયું હતું આંદોલનઅદાણી એનર્જી સોલ્યુશન્સ લીમીટેડ દ્વારા હળવદ કોરીડોર માટે 765 કેવીની વીજ લાઈનના વળતર માટે વાંઢિયામાં આંદોલન થયું હતું. 109 દિવસ સુધી સુધી ખેદુતોના સતત વિરોધ બાદ પબ કોઈ નક્કર પરિણામ ન આવતા ખેડૂતોએ 110માં દિવસે વોંધ પાસે સામખિયાળી હાઈવેને બપોરના ૩ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ચક્કાજામ કરતા આખરે કલેકટરે અદાણી કંપનીને કામ બંધ કરવા માટેનો આદેશ કર્યો છે. વાંઢિયાની સાથે ભુજ તાલુકાના લોડાઈ પણ વીજ પોલ ઉભા કરવાની કામગીરીનું ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. હવે ફરી આ જ વિસ્તારોમાંથી પાવરગ્રીડ વેસ્ટ સેન્ટ્રલ ટ્રાન્સમિશનની વીજ લાઈનો પસાર થવાની છે, ત્યારે આગાઉના વળતર મુદે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેની વચ્ચે બીજી લાઈન પણ વાંઢિયામાંથી જ પસાર થવાની છે ત્યારે હવે ખેડૂતો આગામી શું પગલા લેશે તેના પણ મીટ મંડાઈ છે
સામાજિક સુધારા માટે સમાજ એકમત:કચ્છ મચ્છોયા આહિર સમાજે લગ્ન ખર્ચ ઘટાડ્યો
એક સમયે જે મચ્છોયા આહીર સમાજ પરંપરાથી ઓળખાતો, ત્યાં આજે આધુનિક યુગમાં યુવાધન અને રહેણીકરણીએ બદલાવ કર્યા છે. જો કે, સમાજે આગામી સમૂહલગ્નો માટે કેટલાક પ્રતિબંધ મૂક્યા છે, જેથી ફરી લગ્નોમાં આહિરાત ઝળકશે તે દેખાઈ રહ્યું છે. અર્વાચીન લગ્નોમાં ડી.જે, ઘોડી પર ઠાઠમાઠ, પ્રિ-વેડિંગ, હલ્દી, રિંગ સેરેમની અને બહાર જઈને બ્યૂટી પાર્લરમાં તૈયાર થવું. આ જાણે પાયાની જરૂરિયાતો થઇ ગઈ છે, જો કે કચ્છ મચ્છોયા આહીર સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને આ પ્રકારના જે રીવાજો સમાજ ઉપર બોજ સ્વરૂપ બની રહેલ છે, તે રીવાજોને તિલાંજલિ આપવા નિર્ધાર કરાયો છે. અત્રે નોંધનીય છે કે, 8 ફેબ્રુઆરી 2026ના મહાવદ સાતમ અને 28 એપ્રિલ 2026ના વૈશાખ સુદ બારસના સમૂહલગ્નો યોજાશે. કચ્છના મચ્છોયા આહીર સમાજ જિલ્લામાં 90થી વધુ ગામોમાં વસવાટ કરે છે, જેમાં વાઘુરા, ભુવડ, પધ્ધર, પડાણા, ટપ્પર વઈનો સમાવેશ થાય છે. આહીર સમાજની પરંપરા મુજબ અનેક ગામડાના જૂથ બનાવાય છે,જે વઈથી ઓળખાય છે. દરેક વઈના પ્રમુખ અને મંત્રી હોય છે, જે આ ગામડાઓની વ્યવસ્થાઓ સંભાળે છે. આમ વિવિધ વઇમાં સમાવીષ્ટ ગામોમાં સામાજીક સુધારાઓ માટે દરેક ગામોમાં ગ્રામ સમિતીઓ સાથે ચર્યા વિચારણા કરાઈ અને નક્કી કરાયું હતું કે, જે રીવાજો સમાજ ઉપર બોજ સ્વરૂપ બની રહ્યા છે, તે રીવાજોને તીલાંજલી આપવા આવે.આ ઉપરાંત દરેક ગામોમાં લગ્ન યોજાય અને તે સમૂહલગ્ન સાથે સમૂહભોજન થાય તે નિર્ણય લેવાયો છે તેમ કચ્છ મચ્છોયા આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ રમાભાઇ કાનગડે જણાવ્યું હતું. લગ્નમાં વરરાજાને શેરવાનીમાં નહિ, જાનમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવાયોસમાજે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં, વીંટી પહેરાવી સગાઈની વિધિ કરવી નહી, પ્રિ-વેન્ડિંગ શુટીંગ બંધ કરવું, વરઘોડામાં ડી.જે અને ઘોડી બંધ (સાદો ઢોલ પણ રાખી શકાશે નહી) અને વરતી જાને રૂમ શણગાર બંધ કરવો. જૂનવાણી પીઠી પદ્ધતી અપનાવવી, હલ્દી નહી કરવાની. વિડીયો શુટીંગ બંધ , ફોટો શૂટ કરી શકાશે. મામેરામાં લેતી દેતી બંધ કરવા વળતર વ્યવહાર બંધ સગા ભાભી સિવાય કોઈને પણ વળતર બંધ. બુલેટથી થતું પ્રદર્શન અને ફટાકડા બંધ કરવા. બહાર બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા જવાનું નહી, ગામમાં જ તૈયાર થવું. ફેરા ફરે ત્યારે આપણો પહેરવેશ પહેરવો (ચોળી –શેરવાની નહિ). સગપણ વખતે હરખ કરવા આવતા મહેમાનોમાં વેવાઈ અને પોતાના પરિવાર સિવાય કોઈને ના તેડાવવા. પધ્ધર વઈ વિભાગના પ્રમુખ ધનજીભાઈ ચાવડાએ જણાવ્યું કે, સૂચના અપાઈ છે કે જેમને આ નિયમોનું પાલન ના કરવું હોય તેઓએ સમાજની તારીખ નીકળે તેનાથી 15 દિવસ પહેલા અથવા 15 દિવસ પછી લગ્ન કરી લેવા. સમાજમાં હકારાત્મક અને પરંપરાગત બદલાવ માટે આ નિર્ણય લેવાયા છે.
રાજકારણ:વિધાનસભ્ય ડૉ. પ્રજ્ઞા સાતવ કોંગ્રેસ છોડી BJPમાં જોડાયાં
કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ સાતવનાં પત્ની ધારાસભ્ય ડૉ. પ્રજ્ઞા સાતવ આજે વિધાન પરિષદના સભ્યપદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપનો ધ્વજ ઉપાડ્યો. સાતવના ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પ્રજ્ઞા સાતવ છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસથી સતત નાખુશ છે. આ કારણે એવી ચર્ચા ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. તે મુજબ, તેમણે આજે સવારે વિધાનસભા સચિવાલયમાં વિધાન પરિષદના સભ્યપદ પરથી રાજીનામું સુપરત કર્યું. પ્રજ્ઞા સાતવના પતિ રાજીવ સાતવ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નજીકના સાથી હતા. તેથી, તેમનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવે છે. કોંગ્રેસ વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યા બાદ, પ્રજ્ઞા સાતવ ભાજપ પ્રદેશ કાર્યાલય ગયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા. તેમની સાથે હિંગોલીના તેમના સમર્થકો પણ હાજર હતા. તે બધા ગઈકાલે સાંજે મુંબઈ પહોંચી ગયા હતા. આ પ્રસંગે બોલતા, પ્રજ્ઞા સાતવે ભાજપના નેતાઓને ખાતરી આપી હતી કે હવેથી તેઓ સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ અને સબકા વિશ્વાસની નીતિ અનુસાર આગળ વધશે.
મહાપાલિકાની ચૂંટણી:BJP- શિંદે જૂથ વચ્ચે 150 બેઠક પર સહમતિ
મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણીને લઈ મહાયુતિમાં સામેલ ભાજપ અને શિવસેના- શિંદે જૂથ વચ્ચે બેઠક વહેંચણી અંગે બીજી મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે યોજાઈ. આ બેઠક બાદ ભાજપના નેતા અને વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે 227માંથી 150 બેઠકો પર સહમતિ થઈ ગઈ છે. બાકી રહેલી 77 બેઠકો અંગેની ચર્ચા ચાલુ છે, અને આગામી બે થી ચાર દિવસમાં અંતિમ નિર્ણય લેવાશે. જો કે, મહાયુતિમાં આરપીઆઈ અઠ્ઠાવલે પક્ષને પણ કેટલીક બેઠકો ફાળવવામા઼ આવશે એમ જાણવા મળ્યું છે.અમિત સાટમે જણાવ્યું કે, બાકી રહેલી બેઠકો માટે બંને પક્ષો પરસ્પર આંકડાકીય માહિતીની આપ-લે કરીશું, અને ત્યારબાદ ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અમિત સાટમે બેઠકોના ફોર્મ્યુલા અંગે જણાવ્યું કે, મહાયુતિનો મુખ્ય હેતુ મુંબઈ મહાપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાનો છે. તેમણે કહ્યું કે, કોણ કેટલીઅ બેઠકો લડશે તે મહત્વનું નથી, મહત્વનું એ છે કે, મહાયુતિ 227 બેઠકો પર ચૂંટણી લડશે અને 150થી વધુ બેઠકો જીતીને મુંબઈનો મહાયુતિનો મહાપૌર પસંદ થશે. સાટમે આરોપ લગાવ્યો કે છેલ્લા 25 વર્ષથી કેટલાક પક્ષોએ મહાપાલિકામાં રહીને ભ્રષ્ટાચાર કર્યો અને મુંબઈ વેચી ખાધું હવે પોતાનું ખતમ થયેલું રાજકીય અસ્તિત્વ જીવંત કરવા માટે મતલાભ માટે મુંબઈ શહેરનો રંગ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને નિષ્ફળ બનાવવા માટે મહાયુતિ કટિબદ્ધ છે. એનસીપી સાથે મુંબઈમાં યુતિ નહીંરાષ્ટ્રવાદી કોંગ્રેસ અંગે અમિત સાટમે સ્પષ્ટ કર્યું કે, નવાબ મલિકના નેતૃત્વવાળી એનસીપી સાથે મહાયુતિને કોઈ લેવાદેવા નથી. નવાબ મલિક પર ગંભીર આરોપો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેમની સાથે કોઈપણ પ્રકારની રાજકીય ભાગીદારી શક્ય નથી. જો એનસીપી પોતાની ભૂમિકા બદલે અને નવાબ મલિકને દૂર કરે, તો તેના પર વિચાર કરી શકાય તેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું.
સ્કોલરશીપ:કચ્છ યુનિવર્સિટીના 10 સંશોધક છાત્રોને શોધ યોજના હેઠળ સ્કોલરશીપ મળી
વર્ષ 2025માં કચ્છ યુનિવર્સિટીના 10 પીએચડી વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત શોધ યોજના હેઠળ સંશોધન માટે મહત્વપૂર્ણ સહાય મંજૂર કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ‘SHODH’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને માસિક રૂ. 15 હજાર સ્ટાઈપેન્ડ અને અન્ય આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક રૂ.20 હજારની સહાય મહત્તમ બે વર્ષ માટે આપવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટીમાં વર્ષ 2019 થી 2024 દરમિયાન અત્યાર સુધીમાં 65 વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે. યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા તથા યોજનાના નોડલ ઓફિસર ડો. ગૌરવ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને યોજનાના નિયમો અને અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું. જેમાં ડો. રિસર્ચ ફેસિલિટેટર ડો. દ્રુમા વૈદ્ય અને વહીવટી કર્મચારી સુમનબેન દ્વારા સહયોગ અપાયો હતો. યુનિ.માંથી 14 વિદ્યાર્થીએ અરજી કરી હતી. કેસીજી અમદાવાદ દ્વારા તા.17-12-2025ના પ્રસિદ્ધ કરાયેલ યાદી મુજબ, ગુજરાતભરમાંથી 967 અરજી પૈકી 753 વિદ્યાર્થીની પસંદગી કરાઈ હતી, જેમાં કચ્છ યુનિવર્સિટીના 10 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે જેમાં ભીમાણી નિરુપમા દિનેશભાઈ (લાઈફ સાયન્સ), ચુડાસમા વિશ્વજીત પ્રદ્યુમ્નસિંહ (અંગ્રેજી), ,હઝારિકા અમ્બોરીસ ગજેન (જીયોલોજી), કાંઠેચા જીમીબેન નટવરલાલ (અંગ્રેજી), ખલીફા સાહિસ્તા સલીમ (એજ્યુકેશન), મોતા સાગર કીર્તિકુમાર (લો), શેઠ દર્શનકુમાર અરવિંદ (લો), ઠાકર ફોરમબેન નરેશભાઈ (એજ્યુકેશન), ઠાકર પાર્થ કૈલાશભાઈ (કોમ્યુટર સાયન્સ), વ્યાસ હિના કનૈયાલાલ (લાઈફ સાયન્સ)નો સમાવેશ થાય છે. કુલપતિ ડો. મોહન પટેલ અને કુલસચિવ ડો. અનીલ ગોરે તમામ લાભાર્થી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ આર્થિક સહાયથી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના આર્થિક ભારણ વિના ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકશે, જેનો લાભ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન કાર્યને મળશે.
વળતો પ્રહાર:ડ્રગ્સ કેસને સનસનાટીભર્યો બનાવવા સુષ્મા અંધારેનો કાયર પ્રયાસઃ દેસાઈ
સાતારા જિલ્લાના સાવરી ગામમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ભાઈ પ્રકાશ શિંદેના રિસોર્ટ પાસેના શેડમાંથી લગભગ ૧૪૫ કરોડ રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા હતા. આ કારણે શિવસેના ઠાકરે જૂથના ઉપનેતા સુષ્મા અંધારેએ એકનાથ શિંદે અને પ્રકાશ શિંદે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અંધારેએ એકનાથ શિંદેના રાજીનામાની પણ માગણી કરી હતી. હવે શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી શંભુરાજ દેસાઈએ સુષ્મા અંધારેના આરોપોનો વળતો પ્રહાર કર્યો છે. શંભુરાજ દેસાઈએ કહ્યું, શિવસેના ઠાકરે જૂથના ઉપનેતા સુષ્મા અંધારે દ્વારા અમારા નેતા અને રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને તેમના ભાઈ પ્રકાશ શિંદે પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો પર મેં ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી. સુષ્મા અંધારેએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એ જ આરોપોનું પુનરાવર્તન કર્યું છે. રાજ્યમાં ચૂંટણીઓ ચાલી રહી હોવાથી આ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં સનસનાટી મચાવવાનો અંધારેનો આ કાયર પ્રયાસ છે. દેસાઈએ કહ્યું, બે વર્ષ પહેલાં પણ, જ્યારે નાશિકમાં ડ્રગ્સનો કેસ થયો હતો, ત્યારે હું એક્સાઇઝ મંત્રી હતો અને સુષ્મા અંધારેએ પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા કે હું સીધી રીતે સંડોવાયેલો છું. મેં જાહેરમાં આ આરોપો સામે કહ્યું હતું કે, 48 કલાકની અંદર તમારું નિવેદન પાછું ખેંચો, માફી માગો અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરો, અને દેસાઈએ માહિતી આપી હતી કે આ કાનૂની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. સાતારા જિલ્લાના સાવરીમાં ડ્રગ્સ રેકેટ કેસમાં, ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો અને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના ભાઈ પ્રકાશ શિંદેને સીધા આરોપીના પાંજરામાં ઊભા કર્યા. હોટેલ તેજયશ મારી નથી, મેં તેમને તે જગ્યા ચલાવવા આપી છે, એવો પ્રકાશ શિંદેએ દાવો કર્યો હતો. જોકે, પ્રેસ કોન્ફરન્સમાં, સુષ્મા અંધારેએ ગૂગલ મેપ્સ અને વોટ્સએપ લિંકનો 'લાઈવ ડેમો' બતાવ્યો અને પુરાવા સાથે ચોંકાવનારો આરોપ લગાવ્યો કે હોટેલ તેજયશ પ્રકાશ શિંદેની છે અને તે હજુ પણ તેને ચલાવી રહ્યા છે.
સઘન તલાશી:મુંબઈમાં હાઈકોર્ટ, સ્થાનિક કોર્ટ, બે પ્રતિષ્ઠિત બેન્કમાં બોમ્બ મુકાયાની અફવાનો ‘ઈમેઈલ’
દક્ષિણ મુંબઈમાં મુંબઈ હાઈ કોર્ટ, અમુક સ્થાનિક કોર્ટો અને બે પ્રતિષ્ઠિત બેન્કમાં બોમ્બ મુકાયો છે એવો ઈમેઈલ ગુરુવારે પ્રાપ્ત થયો હતો, જે પછી પોલીસ દ્વારા સઘન તપાસ કરાઈ હતી. જોકે કશું જ શંકાસ્પદ મળ્યું નહોતું. નાગપુરમાં કોર્ટમાં પણ આવો જ મેઈલ આવ્યો હતો, જે બોગસ સાબિત થયો હતો. દક્ષિણ મુંબઈમાં મુંબઈ હાઈ કોર્ટ, સેશન્સ કોર્ટ, મઝગાવ અને એસ્પ્લેનેડ કોર્ટ, બાંદરા અને અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ સાથે બે પ્રતિષ્ઠિત બેન્કોમાં બોમ્બ મુકાયા છે એવી માહિતી ગુરુવારે સવારે ઈમેઈલ પર મળી હતી. આ પછી બોમ્બ શોધક અને નાશક ટુકડી દ્વારા સઘન તલાશી લેવામાં આવી હતી. મુંબઈ હાઈ કોર્ટના બે બાર એસોસિયેશન દ્વારા જારી નિવેદનમાં જણાવાયું કે સલામતીનાં કારણોસર હાઈ કોર્ટના સ્ટાફ સભ્યોને તુરંત સંકુલ ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ખતરો અને તલાશી કામગીરીને ધ્યાનમાં લેતાં સુનાણીઓ આશરે એક કલાક સુધી મોકૂફ રાખવામાં આવી હતી. સર્વ કોર્ટરૂમની તલાશી લેવાઈ હતી, જે પછી સુનાવણીઓ બપોરે 3.00 પછી જ શરૂ કરાઈ હતી, એમ બોમ્બે બાર એસોસિયેશનના પ્રમુખ નીતિન ઠક્કરે જણાવ્યું હતું. અંધેરીમાં ઘટના વિશે એડવોકેટ અલી કાશીફ ખાને જણાવ્યું કે હું મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો, પરંતુ મેજિસ્ટ્રેટે અચાનક કોઈ પણ કારણ આપ્યા વિના સુનાવણી મોકૂફ રાખવાનું શરૂ કર્યું.અમે નીચે આવ્યા ત્યારે બધી કારને કોર્ટ સંકુલની બહાર કાઢવામાં આવી અને તે પછી પોલીસ અધિકારીઓ પાસેથી અમને જાણવા મળ્યું કે બોમ્બ મુકાયો હોવાનો મેઈલ આવતા તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. બાંદરા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સવારે તેની વિધિસર ઈમેઈલ આઈડી પર કોલ આવ્યો હતો. પોલીસે સઘન તલાશી લીધી, પરંતુ કશું જ શંકાસ્પદ મળ્યું નહોતું, એમ નિર્મલ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. આરડીએક્સ આધારિત વિસ્ફોટકનો મેઈલ નાગપુર જિલ્લા અને સેશન્સ કોર્ટને ઈમારતમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેઈલ પ્રાપ્ત થયો હતો, જેથી સંકુલની તલાશી લેવાઈ હતી. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ રોશન બાગડેએ જણાવ્યું કે સવારે કોર્ટની ઈમેઈલ આઈડી પર મેલ આવ્યો હતો, જેમાં બે આરડીએક્સ આધારિત વિસ્ફોટક ડિવાઈસીસ ઈમારતને ટૂંક સમયમાં જ ફૂંકી મારશે એવો દાવો કરાયો હતો. જોકે કશું જ વાંધાજનક મળ્યું હતું. આ શ્રેણીબદ્ધ બોમ્બ અફવા પછી સર્વત્ર સલામતી વધારવામાં આવી હતી. પોલીસ દ્વારા ઈમેઈલ મોકલનારની શોધ ચલાવવામાં આવી રહી છે.
સિટી એન્કર:મુંબઈ અગ્નિશમન દળમાં અગ્નિસુરક્ષા જનજાગૃતિ વાહનનો સમાવેશ
મુંબઈ મહાનગરમાં સ્કૂલ, હોસ્પિટલો, મોલ્સ, ઔદ્યોગિક અને વ્યાપારી સંકુલો, ગીચ વસતિ તેમ જ બીજા સાર્વજનિક ઠેકાણે મુલાકાત કરીને નાગરિકોને અગ્નિપ્રતિબંધક ઉપાયયોજનાની માહિતી આપવી અને અગ્નિસુરક્ષા બાબતે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશથી મહાપાલિકાના મુંબઈ અગ્નિશમન દળ મારફત અગ્નિસુરક્ષા જનજાગૃતિ વાહન વિકસિત કરવામાં આવ્યું છે. આ વાહન અગ્નિશમન દળના કાફલામાં દાખલ થવાથી નાગરિકોમાં જનજાગૃતિ કરવી વધુ સહેલી અને ઝડપી થશે. મુંબઈમાં આગની ઘટનાઓ સતત થતી રહે છે. શિયાળામાં આગનું પ્રમાણ વધારે હોય છે. નાગરિકોમાં અગ્નિસુરક્ષા બાબતે જાગૃતિ ન હોવાથી અનેક વખત અજાણતા ઘટનાઓને નિમંત્રણ આપવામાં આવે છે. નાગરિકોમાં જનજાગૃતિ કરવા મહાપાલિકાના અગ્નિશમન દળ તરફથી જનજાગૃતિ કરવામાં આવે છે. આ ઘટનાને ધ્યાનમાં લેતા આગ લાગવા પહેલાં જ લેવાની તકેદારી, આગ લાગ્યા પછી યોગ્ય અને શાસ્ત્રીય પ્રતિસાદ, તેમ જ આપત્કાલીન પરિસ્થિતિમાં તરત મદદ મેળવવાની પ્રક્રિયા નાગરિકોને સહેલી રીતે સમજાવીને જણાવવામાં આવશે. એ સાથે જ અગ્નિશમન મશીનનો યોગ્ય ઉપયોગ, આપત્કાલીન સ્થળાંતર પદ્ધતિ, તેમ જ અગ્નિસુરક્ષા નિયમોનું પાલન કરવાના મહત્વ બાબતે પણ માર્ગદર્શન કરવામાં આવશે. એકંદરે આ વાહનના માધ્યમથી નાગરિકોમાં અગ્નિસુરક્ષા બાબતે જાગૃતિ નિર્માણ કરવી, સુરક્ષિતતાની સંસ્કૃતી ઊભી કરવી અને સંભવિત આપત્તિનું જોખમ ઓછું કરવું એ આ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અશ્વિની જોશીએ અગ્નિસુરક્ષા જનજાગૃતિ વાહનનું નિરીક્ષણ કર્યું હતું. અગ્નિસુરક્ષા જનજાગૃતિ વાહનના માધ્યમથી વિવિધ પરિસરમાં પહોંચીને મોટા પ્રમાણમાં નાગરિકો સુધી અગ્નિસુરક્ષાનો મહત્વપૂર્ણ સંદેશ અસરકારક રીતે પહોંચાડવામાં આવશે. મુંબઈ જેવી ગીચ વસતિવાળા અને ઝડપથી વધતા મહાનગરમાં આગ લાગવાની ઘટના ઓછા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં નાગરિકો પાસે જરૂરી માહિતી, સજાગતા અને પ્રાથમિક પ્રતિસાદની ક્ષમતા હોવી અત્યંત જરૂરી બને છે. આ ઉપક્રમના કારણે સંભવિત અકસ્માતનું પ્રમાણ ઓછું કરવામાં તેમ જ જીવહાની અને નાણાહાની ટાળવામાં ઘણી મદદ થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ઉપક્રમના માધ્યમથી સામાન્ય નાગરિકો સુધી અગ્નિસુરક્ષા બાબતનો મૂળભૂત, અત્યંત મહત્વપૂર્ણ માહિતી અસરકારક રીતે પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે એમ મુખ્ય અગ્નિશમન અધિકારી રવિન્દ્ર આંબુલગેકરે જણાવ્યું હતું. જનજાગૃતિ વાહનની વિશેષતાનાગરિકોને ફાયર એક્સટિંગ્વિશરના પ્રકાર, તેમનો યોગ્ય ઉપયોગ, આગ બુઝાવતા રાખવાનું ધ્યાન વગેરે બાબતોનું જ્ઞાન વાસ્તવિક રીતે કરીને આપવામાં આવશે. ઈમારતોમાં ફાયર એલાર્મ સિસ્ટમ, સ્પ્રિન્કલર, હાઈડ્રેન્ટ લાઈન, આપત્કાલીન માર્ગ, આશરો લેવાની જગ્યા જેવી યંત્રણાની રચના અને ઉપયોગ વિશે નાગરિકોને માર્ગદર્શન કરવામાં આવશે. આગ અંકુશમાં આવવા પહેલાં પોતાનો બચાવ અને અન્યોની સુરક્ષિતતા કેવી રીતે કરવી, ધુમાડો ફેલાય ત્યારે શું કરવું, વીજ પુરવઠો બંધ કરવા જેવી તાત્કાલીક ઉપાયયોજનાની માહિતી આપવામાં આવશે. આપત્કાલીન પરિસ્થિતિમાં અગ્નિશમન દળ સાથે કેવી અને કઈ માહિતી આપીને સંપર્ક કરવો, દુર્ઘટના સ્થળની પાકી માહિતી આપવાનું મહત્વ, પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ વગેરે બાબતો સહેલી ભાષામાં સમજાવવામાં આવશે.
રાજ્યમાં 29 મહાપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય સમીકરણોએ વેગ પકડ્યો છે. સૌથી મોટા અને નિર્ણાયક સમાચાર બહાર આવી રહ્યા છે, અને મુંબઈ-પુણે પૂરતા મર્યાદિત લાગતાં 'ઠાકરે ભાઈઓ'નું જોડાણ હવે વિદર્ભના મેદાનમાં ઊતરવા જઈ રહ્યું છે. સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મનસે વિદર્ભની ચાર મહત્વપૂર્ણ નગરપાલિકાઓ - નાગપુર, ચંદ્રપુર, અમરાવતી અને અકોલામાં સાથે મળીને ચૂંટણી લડશે. આ સાથે, 'ઠાકરે બ્રાન્ડ'ની તાકાત હવે રાજ્યની કુલ 8 મુખ્ય નગરપાલિકાઓમાં કેન્દ્રિત જોવા મળશે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ્ય ઉપાધ્યક્ષ રાજુ ઉમ્બરકરે સત્તાવાર રીતે યુતિની પુષ્ટિ કરી છે. શિવસેના- મનસે વિદર્ભમાં નાગપુર, ચંદ્રપુર, અમરાવતી અને અકોલા એમ ચારેય નગરપાલિકાઓમાં ભાજપ અને મહાયુતિને સંયુક્ત રીતે પડકારશે. ઠાકરે બ્રાન્ડ વિદર્ભમાં એક સાથે આવી રહી છે, અને તેની સકારાત્મક અસર ચૂંટણી પરિણામોમાં જોવા મળશે. આ યુતિ ખૂબ જ સફળ રહેશે, એમ ઉમ્બરકરે વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજુ ઉમ્બરકર હાલમાં અકોલા જિલ્લાના પ્રવાસે છે અને આજે તેમણે મનસેના પદાધિકારીઓ અને કાર્યકરોની સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન અકોલા મહાપાલિકામાં રસ ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા. આ ગતિવિધિઓ પરથી સ્પષ્ટ થાય છે કે વિદર્ભમાં બેઠકોની વહેંચણી અને પ્રચાર માટેની સંયુક્ત રણનીતિ હવે અંતિમ તબક્કામાં છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણમાં પહેલાથી જ સમાચારમાં રહેલું ઠાકરે બંધુઓની યુતિ હવે વિદર્ભ પહોંચી રહ્યું છે, અને રાજકીય ગણતરીઓ બદલાવાની છે. ભાજપના ગઢમાં ઠાકરેનો પડકાર: નાગપુર ભાજપનો ગઢ માનવામાં આવે છે, ખાસ કરીને નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસનો. જો રાજ અને ઉદ્ધવ ઠાકરે આવી જગ્યાએ ગઠબંધન કરે છે, તો ભાજપની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. 8 જિલ્લામાં ‘ચૂંટણીજંગ’ નિશ્ચિત મુંબઈ, થાણે, પુણે અને નાસિક શહેરોમાં બંને ઠાકરે ભાઈઓ એક સાથે આવે તેવા સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. હવે વિદર્ભમાં 4 શહેરો ઉમેરાતાં, રાજ્યની 8 મહત્વપૂર્ણ નગરપાલિકાઓમાં ‘ઠાકરે ભાઈઓનું જોડાણ’ મેદાનમાં જોવા મળશે. 15 જાન્યુઆરીએ યોજાનારી મહાપાલિકાની ચૂંટણીઓ માટે આ નવું જોડાણ કેટલું અસરકારક છે અને તે મત વિભાજનને કેવી અસર કરે છે? આખું મહારાષ્ટ્ર આના પર ધ્યાન આપી રહ્યું છે.
પાણીની તંગી:ભુજ નગરપાલિકાના ટાંકા તળિયા ઝાટક, નર્મદાના પાણી ત્રીજે દિવસેય ન આવ્યા!
અંજાર તાલુકાના રતનાલ પાસે ભુજ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને નર્મદાનું પાણી પૂરું પાડતી જર્જરિત મુખ્ય લાઈન બદલવાનું કામ મંગળવારથી ચાલુ છે, જેથી ગુરુવાર સુધી નગરપાલિકાને જથ્થો મળ્યો નથી અને ટાંકા તળિયા ઝાટક થઈ ગયા છે! રતનાલ પાસે જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની નર્મદાની લાઈન અવારનવાર તૂટી જતી હતી. જેની મરંમતમાં લાંબો સમય વીતી જતો હતો, જેથી મંગળવારે આખી લાઈન નવી પાથરવાનું કામ શરૂ થયું હતું. જે ગુરુવારે પૂરું થઈ જવાનું હતું. પરંતુ, ગુરુવાર સાંજ સુધી પૂરું થયું નથી અને શુક્રવારે સવારે જથ્થો વહેતો થાય એવી શક્યતા છે. બીજી તરફ નગરપાલિકાએ કુકમા સમ્પ, ભુજીયા સમ્પ, જુદા જુદા વિસ્તારના અન્ડર ગ્રાઉન્ડ અને ઓવર ટેન્કમાં સંગ્રાયેલું પાણી નળ વાટે ચાલુ રાખ્યું હતું. જે ત્રીજા દિવસે ખૂટી ગયું છે એટલે નળ વાટે વિતરણ બંધ થઈ ગયું છે. શુક્રવારે અંજારથી કુકમા સમ્પે અને કુકમા સમ્પેથી ભુજીયા સમ્પે પહોંચે તોય નિયમિત સપ્લાયમાં વિક્ષેપ થાય એમ છે, જેથી જે લોકોના ઘરના અન્ડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ ટેન્ક નાના છે. એમને ટેન્કરથી પાણી મંગાવવાની નોબત આવે એવી શક્યતા છે. જોકે, શિયાળાને કારણે હજુ સુધી તંગી વર્તાઈ નથી. પરંતુ, હવે એકાદ બે દિવસમાં રાડ પડે એવી ભીતિ સેવાઈ રહી છે. શુક્રવારે સવારથી પેયજળ મળવા લાગશે : ચેરમેનપાણી વિતરણ સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુવાર સાંજ સુધી મરંમત થઈ નથી અને શુક્રવારે સવારે જથ્થો મળે એવી શક્યતા છે. પરંતુ, દરેક ટાંકા ખાલી છે અને લાઈનમાં પાણી ભરાઈ જાય ત્યારબાદ પૂરતા દબાણે કુકમા સમ્પેથી ભુજીયા સમ્પે પહોંચશે. એટલે લોકોએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અનુરોધ છે. બાકી ખેંચ નહીં વર્તાય. શુક્રવાર સાંજથી પુન: વિતરણ શરૂ કરી દેવાશે.
વાતાવરણ:રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની વધુ શક્યતા
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીની અસર દિવસે ને દિવસે વધી રહી છે. શિયાળાની શરૂઆતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, નાગરિકોને સવાર અને સાંજે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હાલમાં, રાજ્યના મોટા ભાગના ભાગોમાં શુષ્ક હવામાન રહેશે અને આગામી થોડા દિવસોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, એમ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે.જોકે આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં થોડો વધારો થશે. ત્યાર બાદ તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. આને કારણે શિયાળાની કઠોરતા વધુ તીવ્ર બનવાની શક્યતા છે. રાજ્યના વિદર્ભ ક્ષેત્રમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વિદર્ભના તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે આવી ગયું છે. આજે યવતમાળ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અકોલા અને નાગપુરમાં તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી ગયું છે. સવારના ઝરમર વરસાદ પડતાં નાગરિકોએ ગરમ કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે. ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીની અસર વધુ તીવ્ર છે અને ખેડૂતો, ખેતમજૂરો અને વહેલી સવારે કામ પર જતા લોકોને આ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.મરાઠવાડામાં પણ ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું છે. નાંદેડમાં લઘુતમ તાપમાન ૮.૯ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જે આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો માનવામાં આવે છે. છત્રપતિ સંભાજીનગરમાં તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પરભણીમાં પારો ૧૦.૮ ડિગ્રી સુધી ઘટી ગયો છે.
પોલીસ દ્વારા તપાસ:લોન માટે ખેડૂતને એક કિડની વેચવા મજબૂર કર્યો
રાજ્યમાં વિવિધ કારણોસર ખેડૂતો આત્મહત્યા માટે મજબૂત થઈ રહ્યા છે અને તેને લઈ વિરોધ પક્ષો દ્વારા સતત શાસકોને ભીંસમાં લેવાય છે ત્યારે હવે ચંદ્રપુર જિલ્લામાં વધુ ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. લોન ભરપાઈ કરવા માટે એક ખેડૂતને તેની એક કિડની વેચવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે છ ધિરાણદારોની ધરપકડ કરી છે. ખેડૂત રોશન કુડેએ લોન ભરપાઈ માટે તેને એક કિડની વેચવા માટે મજબૂર કરાયો હોવાનો દાવો કરાતાં પોલીસ દ્વારા બુધવારે ચંદ્રપુર મેજિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં તેની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડોક્ટરોએ ખેડૂતની એક કિડની ખરેખર નથી એવું તારણ કઢાયું હતું. કુડેએ ચાર ધિરાણદારો પાસેથી ઉધાર પૈસા લીધા હતા. જોકે તેની ભરપાઈ કરી શકતો નહોતો. આથી તેને એક કિડની વેચવા માટે મજબૂર કરાયો હતો. ખેડૂતના આ આરોપ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેને લઈ હવે છ ધિરાણદારોની ધરપકડ કરવામાં આવી છે. આ છ જણને સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં પાંચ ધિરાણદારને 20મી ડિસેમ્બર સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કુડે નાગભિડ તાલુકામાં મિંથુર ગામનો રહેવાસી છે. તે ચાર એકર ખેતજમીન ધરાવે છે. જોકે ખેતીવાડીમાં નુકસાન જતાં તેણે અલગ ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ મુજબ તેણે ડેરી વ્યવસાય કરીને અમુક આવક કમાણી કરવા માટે ગાયો ખરીદી કરી હતી. 29 વર્ષીય કુડેએ પોલીસને જણાવ્યું કે તેણે બે ધિરાણદાર પાસેથી 2021માં 40 ટકા વ્યાજદરે રૂ. 50,000 ઉધાર લીધા હતા. ધિરાણદારોએ પછીથી દાવો કર્યો હતો કે આ રકમ વ્યાજ સાથે રૂ. 74 લાખ સુધી પહોંચી ગઈ છે. ખેડૂત અનુસાર આટલી મોટી રકમ ચૂકવી શકે એમ નહીં હોવાથી એક ધિરાણદારે થોડી લોન ભરપાઈ કરવા માટે કિડની વેચવાનું સૂચન કર્યું હતું. આ પછી ખેડૂતે ઈન્ટરનેટ પર તપાસ કરી અને એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. ખેડૂતો કોની કોની પાસેથી નાણાં લીધાં?દરમિયાન આ પ્રકરણે બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કિશોર બાવનકુલે, પ્રદીપ બાવનકુલે, સંજય બલ્લારપુરે, લક્ષ્મણ ઉર્કુડે, મનીષ ઘાટબંધે અને સત્યવાન બોરકર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો ચંદ્રપુરના એસપી સુદર્શન મુમ્માકાએ જણાવ્યું કે અમે કુડેને સર્વ માહિતી આપવા માટે જણાવ્યું છે. અમે તેના નાણાકીય વ્યવહાર તપાસ્યા છે અને તેણે ઘણા બધા ધિરાણદારો પાસેથી નાણાં ઉધાર લીધાં હોવાનું જણાયું છે. એજન્ટ કુડેને કોલકતા લઈ ગયો હતો. ત્યાં ડોક્ટર દ્વારા તબીબી પરીક્ષણ પછી કુડેને કમ્બોડિયામાં લઈ જવાયો હતો, જ્યાં તેની કિડની કાઢી લેવામાં આવી હતી. આ સામે તેને રૂ. 8 લાખ મળ્યા હતા, એમ કુડેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
માણિકરાવની મુશ્કેલી વધી:સરકારી ફ્લેટ કૌભાંડમાં મંત્રીપદેથી હટાવાયા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ રમતગમત મંત્રી માણિકરાવ કોકાટે માટે મુશ્કેલીઓ વધુ ગંભીર બની છે. નાસિક જિલ્લા કોર્ટે 1995માં નકલી દસ્તાવેજો રજૂ કરીને સરકારી ફ્લેટ મેળવવાના આરોપો હેઠળ તેમની સામે ફટકારવામાં આવેલી બે વર્ષની જેલ અને દંડની સજાને યથાવત રાખ્યા બાદ કાનૂની કાર્યવાહી વધુ તીવ્ર બની છે. કોર્ટના આ નિર્ણયના પગલે કોર્ટે જારી કરેલા ધરપકડ વોરંટ બાદ નાસિક પોલીસે ઝડપી પગલાં ભરવાનું શરૂ કર્યું છે.બીજી તરફ આ મામલે રાજકીય સ્તરે પણ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. બુધવારે રાત્રે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે માણિકરાવ કોકાટે પાસેથી મંત્રીપદ પરત લઈ લેવામાં આવ્યું હતું અને રાજ્યપાલને તેમનું રાજીનામું સ્વીકારી લેવા ભલામણ કરવામાં આવી હતી. રાજ્યપાલે મુખ્ય મંત્રીની ભલામણને મંજૂરી આપી હોવાનું અધિકૃત રીતે જાહેર થયું છે. આ નિર્ણય બાદ રાજ્યના રાજકારણમાં પણ ચર્ચા તેજ બની છે. હાલમાં માણિકરાવ કોકાટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાંથી જ ધરપકડ કરવામાં આવશે કે કેમ તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. નાશિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસેથી કેસની વિગતવાર માહિતી માગી છે. સાથે સાથે કોકાટેની હાલની તબીબી સ્થિતિ, ડૉક્ટરોનો મેડિકલ રિપોર્ટ અને કાનૂની બાબતોની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચકાસણી બાદ પોલીસ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ હાઈ કોર્ટે માણિકરાવ કોકાટેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મનાઈ કરી હતી. માણિકરાવની ભાઈની શોધ શરૂઆ કેસમાં માણિકરાવ કોકાટે ઉપરાંત તેમના ભાઈ વિજય કોકાટે સામે પણ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. વિજય કોકાટેના હાલના ઠેકાણા અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતા નાસિક પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોકાટે બંધુઓ પર આરોપ છે કે, તેમણે 1995માં ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી ફ્લેટ મેળવ્યો હતો. ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજાને જિલ્લા અદાલતે પણ યથાવત રાખતા હવે કાનૂની તેમજ રાજકીય રીતે કોકાટે પરિવાર માટે મુશ્કેલ સમય શરૂ થયો છે. નાશિક પોલીસ કાનૂની સલાહ બાદ શું નિર્ણય લે છે તે તરફ સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી:મતગણતરીમાં કોઈ પણ ગડબડ સાંખી નહીં લેવાય
મહારાષ્ટ્રમાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા પહેલાં રાજ્ય ચૂંટણી પંચે કડક ચેતવણી આપી છે. રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 21 ડિસેમ્બરે થનારી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ, અડચણ કે કાયદો- વ્યવસ્થામાં ખલેલ સહન કરવામાં નહીં આવે. આવા પ્રયાસો કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે.આ સૂચનાઓ વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરો, પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો તેમ જ રાજ્ય ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો હેતુ રાજ્યભરના કુલ 288 નગરપરિષદો અને નગર પંચાયતની ચૂંટણી માટેની મતગણતરીની તૈયારીની સમીક્ષા કરવાનો હતો.રાજ્યમાં 2 ડિસેમ્બરે 264 નગરપરિષદો, નગર પંચાયત પ્રમુખો અને 6,042 સભ્યો માટે મતદાન થયું હતું, જ્યારે બાકી રહેલી 24 નગરપરિષદો અને 154 સભ્યો માટે 20 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જોકે, અલગ-અલગ તારીખે મતદાન થવા છતાં તમામ નગરપરિષદો અને નગર પંચાયતના પરિણામો એકસાથે 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. દિનેશ વાઘમરેએ મતદાન અને મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને સુચારૂ રીતે પાર પાડવા પર ખાસ ભાર મૂક્યો. તેમણે અધિકારીઓને કોઈ પણ અનિયમિતતા સામે તરત પગલાં લેવા તેમજ તે અંગે મીડિયાને સમયસર માહિતી આપવા સૂચના આપી. તેમણે જણાવ્યું કે, યોગ્ય માહિતીના અભાવે અફવાઓ ફેલાય છે, અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ખોટી છબી ઉભી થાય છે.
હવા અને પાણી દૂષિત:કેમિકલ કંપનીના પ્રદૂષણથી ગ્રામજનો-પશુઓને ખતરો
દેશમાં વધતા જતા પ્રદૂષણ સામે સરકાર ચિંતિત છે અને તેને અટકાવવાના પગલાં ભરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગરના કાળાતળાવ ગામથી નર્મદ ગામ વચ્ચે કેમિકલ કંપની દ્વારા સરકારી પડતર અને ગૌચર જગ્યામાં છોડવામાં આવતા દૂષિત પાણીના કારણે કાળિયાર અને અન્ય પશુઓ માટે પણ ખતરારૂપ છે. આસપાસના ગ્રામજનોને દૂષિત હવા અને પાણીને કારણે થતા ગંભીર રોગ બાબતે કાળાતળાવ અને નર્મદ ગામના લોકો દ્વારા કલેકટર તેમજ જીપીસીબી સમક્ષ પણ હૈયા વરાળ ઠાલવી હતી. ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામથી નર્મદ ગામે જવાના રસ્તે અર્ચિત નામની કેમિકલ કંપની આવેલી છે. જેની આસપાસ ખેતીલાયક જમીનો પણ છે અને સરકારી પડતર તેમજ ગૌચર જમીન પણ આવેલી છે. જે જમીનમાં પાલતુ માલઢોર, કાળિયાર, રોઝ અને શિયાળ સહિતના પશુઓની અવરજવર રહે છે તેમજ વસવાટ પણ કરે છે. આ કંપની દ્વારા દરરોજ રાત્રે 6 થી આખી રાત દરમિયાન ઝેરી ગેસ છોડવામાં આવી રહ્યો છે. જેથી કાળાતળાવ અને નર્મદ ગામના લોકોને રાત્રે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. આંખોમાં બળતરા થાય અને માથાના દુખાવા ઉપરાંત ચામડીના પણ રોગ થાય છે. જેથી ગામમાં અને સીમમાં રહેવું પણ ગ્રામજનો માટે મુશ્કેલ બન્યું છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકો પર કેમિકલ વાળી હવા અને પાણીની ગંભીર અસર પડે છે. આજુબાજુના ખેતરોમાં ઉભો પાક પણ કાળો પડી જાય છે. અર્ચિત કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે અગાઉ પણ ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ તેને અટકાવવાના કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી કાળાતળાવ અને નર્મદ ગામના લોકો દ્વારા કલેકટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પુનઃ રજૂઆત કરવામાં આવી છે. 2018માં છ કાળિયારના મોત થયા હતાકાળાતળાવ ગામના સીમાડે અને નર્મદ ગામમાં આવેલી કેમિકલ કંપની દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીને કારણે વર્ષ 2018માં છ કાળિયારના મોત થયા હતા. અને તત્કાલીન સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી હતી. હાલમાં પણ કંપની દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી અને હવાને કારણે થતા નુકશાન બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દૂષિત પાણી પીતા ગાયનું મોતકાળાતળાવ ગામના છેવાડે કેમિકલ કંપની દ્વારા તેમની દિવાલ બહાર કાઢવામાં આવતા દૂષિત પાણીને પીતા કાળાતળાવ ગામના વાઘાભાઈ ઘુઘાભાઈની માલિકીની ગાયનું મોત નીપજ્યું હતું. જેથી ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો હતો.
કાર્યવાહી:શહેરમાં સાત દિવસમાં 112 દબાણો હટાવી 19 વાહનોને લોક માર્યા
ભાવનગર કોર્પોરેશનના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકને અડચણ કર્તા વાહનો અને દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા સાત દિવસમાં 112 દબાણો હટાવી સામાન જપ્ત કર્યો હતો અને રોડ પર અડચણરૂપ મુકેલા 19 વાહનોને લોક મારી 19,000 નો દંડ વસૂલ કર્યો હતો. ભાવનગર કોર્પોરેશનના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ છે જેમાં તા.12ને શુક્રવારના રોજ માઢિયા રોડ પરથી અસ્થાયી દબાણો જેવા કે, 21 શેડ, 3 ઓટલા, 3 ફેન્સીંગ દૂર કરી 1 કાઉન્ટર, 2 લારી, 1લોખંડની ખુરશી, વજન કાંટો દૂર કરી સામાન જપ્ત કરેલ છે. તા.16ને મંગળવારના રોજ ભાવનગર રાજકોટ રોડ, સર્વિસ રોડ પર અડચણરૂપ મૂકેલ બસ, ટ્રક, ફોર વ્હીલર એમ કુલ 15 વાહનોને લોક કરી કુલ રૂ.15000 દંડ વસૂલ કરેલ છે. અને કાળુભા રોડ પરથી અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત કરેલ છે. અને રોડ પર અડચણરૂપ મૂકેલી બગીને લોક કરી 1000 દંડ વસૂલ કરેલ છે. તેમજ 1 લારી, 1 બોર્ડ અને અન્ય છૂટક સામાન જપ્ત કર્યા હતાં. તા.17ને બુધવારે ચિત્રા સિદસર રોડ, વંદે માતરમ્ ટ્યુશન ક્લાસિસ સામેથી દબાણો દૂર કરી સામાન જપ્ત કરેલ છે. જેમાં 3 ખાટલી, 3 લોખંડના ઘોડા, 2 બોર્ડ, જગ, 7 પાઇપ, ટેબલ, 17 ડોલ જપ્ત કરી હતી. રાજકોટ ભાવનગર, સર્વિસ રોડ પર અડચણરૂપ મૂકેલ કુલ 3 વાહનોને લોક મારી કુલ રૂ.3000 દંડ વસૂલ કરેલ છે. તા.18ને ગુરૂવારે એમ.જી. રોડ, વોરા બજાર, પિરછલા માર્કેટ પરથી અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત કરેલ છે. 7 લારી સામાન ભરેલી, 20 કેરેટ સામાન ભરેલા, 7 ટેબલ, 5 થેલા સામાન ભરેલા, 5 ખાટલી અને અન્ય છૂટક સામાન પણ જપ્ત કર્યો હતો. ગંગાજળિયા તળાવની દિવાલ ફરતેથી માછલાનું વેચાણ કરનાર ધંધાર્થીઓનાં દબાણ દૂર કરી સામાન જપ્ત કરેલ છે. શહેરમાં આ રીતે અડચણ રૂપ વાહનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને દબાણો દૂર કરાઈ રહ્યા છે.
તંત્ર નીરસ:મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક ઔપચારિક બની
ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓનું છ સિનિયર વિદ્યાર્થીઓએ કારમાં અપહરણ કરી ઢોર માર મારવાના રેગિંગની ઘટના ગત માર્ચ મહિનામાં બની હતી. રેગિંગની ઘટનામાં 4 તબીબી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ છેલ્લા નવ માસથી ચાલી રહેલા વિવાદમાં ભાવનગર મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની ત્રણ બેઠક બોલાવવામાં આવી હતી. ભારે દબાણ વચ્ચે રેગિંગ કાંડના દોષિતોને બચાવવાની યોજના સૌરાષ્ટ્ર સમાચારના અહેવાલથી ખુલી પડતા મેડિકલ કોલેજમાં આજની એન્ટી રેગિંગ કમિટીની બેઠક ઔપચારિક બની ગઈ હતી. માર્ચ-2025ની ઘટના બાદ રેગિંગની ઘટનાના કસૂરવાર 4 તબીબી વિદ્યાર્થીઓને બચાવી લેવા થઇ રહેલા ભારે દબાણ વચ્ચે ભાવનગર મેડિકલ કોલેજ ખાતે એન્ટીરેગિંગ કમિટીની આજે છઠ્ઠી બેઠક મળી હતી. ભાવનગર મેડિકલ કોલેજના ડિન એવમ એન્ટી રેગિંગ કમિટીના ચેરમેન ડો.ચિન્મય શાહ સહિત એન્ટી રેગિંગ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં બપોરે 3 કલાકે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રેગિંગ કાંડની ઘટના બાબતે સામાન્ય ચર્ચા વિચારણા સાથે સવા કલાક જેટલા સમયમાં પૂર્ણ થતા દોષિત 4 તબીબી વિદ્યાર્થીઓ મામલે કોઈ નિર્ણય લઇ શકાયો ન હતો. એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં બહારગામ હોય તેવા સંજોગોમાં રૂબરૂ હાજર નહીં રહી શકનાર સભ્યો માટે ગુગલ મીટની લિંક પણ જનરેટ કરવામાં આવી હતી. બેઠકની કાર્યવાહીની નોંધ યુનિવર્સિટીને મોકલાશેમાર્ચ-2025માં બનેલી ઘટના સંદર્ભે ભાવનગર મેડિકલ કોલેજમાં આજની એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જે બેઠકની કાર્યવાહીની નોંધ યુનિવર્સિટીને મોકલાશે. > ડો.ચિન્મય શાહ, ડિન અને ચેરમેન એન્ટી રેગિંગ કમિટી, ભાવનગર મેડિકલ કોલેજ
અકસ્માત:મેળામાંથી ઘરે જતા બે બહેનોનો અકસ્માત, નાની બહેનનું મોત
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર મોડી રાત્રીના ત્રીપલ અકસ્માત સર્જાતા બે સગી બહેનોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં સરવાર દરમ્યાન નાની બહેનનું મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભાવનગર શહેરમાં દિનપ્રતીદિન બાઇક ચાલક તેમજ કાર ચાલક નબીરાઓ પુરપાટ ઝડપે પોતાના વાહનો લઇને પસાર થાય છે. તેમજ ઘણી વખત વાઘાવાડી રોડ ઉપર મોડી રાત્રીના બાઇકની રેસીંગ પણ યોજવામાં આવી રહી છે જો કે, આ તરફે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના સ્ટાફનું ધ્યાન કેમ જતું નથી તે એક શરમજનક વાત કહી શકાય છે. ત્યારે વાઘાવાડી રોડ ઉપર ફરી એક ગમખ્વાર અકસ્માતમાં એક કોલેજીયન યુવતીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. શહેરના ભાદેવાની શેરીમાં રહેતા જાનવીબેન મેહુલભાઇ ચૌહાણ અને તેમની નાની બહેન રિદ્ધીબેન ચૌહાણ (ઉ.વ.18) બંન્ને પોતાની એક્ટીવા લઇ ઘરેથી ત્રણ બહેનપણીઓ સાથે જવાહર મેદાનમાં આવેલ આનંદ મેળાની મજા માણવા ગયા હતા. જ્યાંથી મેળાનો આનંદ લઇ પાંચેય યુવતીઓ પાણીની ટાંકી પાસે નાસ્તો કરવા ગયા હતા જ્યાંથી વાઘાવાડી રોડ ઉપર થઇને ઘર તરફ પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન સેન્ટ્રલ સોલ્ટ નજીક બાઇક ચાલક જીણા સુરાભાઇ વાઘેલા (રહે.બુધેલ તગડી રોડ)એ પોતાનું બાઇક રોંગસાઇડમાં પુરપાટ ઝડપે ચલાવી, સામેથી આવી રહેલા જાનવીબેન અને રિદ્ધીબેનના એક્ટીવા સાથે ગમખ્વાર અકસ્માત કર્યો હતો. જે ઘટના બાદ એક્ટીવાની પાછળ આવી રહેલી ત્રણ યુવતીઓ પણ રિદ્ધીબેનના એક્ટીવા સાથે અથડાતા, ત્રીપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જે ઘટનામાં સારવાર દરમ્યાન જાનવીબેનની નજર સામે જ નાની બહેન રિદ્ધી ચૌહાણનું મૃત્યુ નિપજતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જ્યારે બાઇક ચાલકને પણ ઇજા સાથે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં મૃતક યુવતીના પિતા મેહુલભાઇ ચૌહાણએ બાઇક ચાલક વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાખોદકામ અને રોડના કામ દરમિયાન તંત્ર બેદરકાર !ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળો પર રોડ, ડ્રેનેજ, પાણીની લાઈનના કામ શરૂ છે. જેમાં મોટાપાયે ખોદકામ કરી રહ્યા છે. પરંતુ ઘણી જગ્યા પર ખોદકામમાં અને રોડના કામમાં અકસ્માતનો પણ ભય રહે છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યા હોય ત્યારે સાવચેતીના ભાગરૂપે દિશા સૂચક, ડાયવર્ઝન સહિતની સૂચનાઓના બોર્ડ ઉપરાંત ટ્રાફિક પોલીસ બંદોબસ્ત પણ જરૂરી બન્યો છે.
આયોજન:વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આજે શહેરમાં જિલ્લા સ્તરનો કાર્યક્રમ
ભાવનગર ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને તા.19 ડિસેમ્બરને શુક્રવારે સવારે 9.30 કલાકથી ઇસ્કોન ક્લબ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરશે. આ કોન્ફરન્સ થકી સેક્ટર- પેસેફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગીતાને પ્રોત્સાહન મળશે તેમજ અનેક યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે. આ ઉપરાંત સેક્ટર પેસેફિક સેમિનારમાં ધોલેરા SIRમાં ભવિષ્યની તકો વિશે ધોલેરા SIRમાંથી અદિતી ગોયલ, પોર્ટના વિકાસ અને શિપ બ્રેકિંગ અને શિપ બિલ્ડિંગ બાબતે પોર્ટ ઓફિસર, ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન વિશે ડૉ. અંશુયા ભાદાલકર, જોઇન્ટ ડાયરેકટર, ગાંધીનગર તેમજ IT/ઈનોવેશન નીતિઓ બાબતે હિતેશ ગોર, ICT ઓફિસર, ગાંધીનગર હાજર રહી મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે.આ કાર્યક્રમમાં MOU એક્સચેન્જ, પ્રતિકાત્મક ચેકનું વિતરણ, LDM દ્વારા લોન મંજૂરી પત્રનું વિતરણ, VGRC પર ફિલ્મ પ્રસ્તુતિ તેમજ પ્રાદેશિક કોન્ફરન્સની પ્રસ્તુતિની સાથે MSMEની સફળતાની ગાથા રજૂ કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા ઓપન હાઉસ ડિસ્કશનશુક્રવારે ઇસ્કોન ક્લબ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો દ્વારા ઓપન હાઉસ ડિસ્કશન પણ રાખવામાં આવી છે, જેમાં બેસ્ટ પ્રેક્ટીસ, માળખાગત સુવિધાઓ અને તકો, કુશળતા અને નીતિગત હસ્તક્ષેપો અંગે વાર્તાલાપ કરવામાં આવશે. ભાવનગરમાં યોજાનારી આ કોન્ફરન્સ થકી સેક્ટર- પેસેફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગીતાને પ્રોત્સાહન મળશે તેમજ અનેક યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે.
કામગીરી:અલંગ-મણારમાં 63 હેક્ટરમાં બે દિવસમાં 26 હેક્ટરના દબાણ દૂર
ભાવનગર | ભાવનગર જિલ્લાના અલંગ અને મણાર ગામે સરકારી પડતર અને ગાૈચરની જમીનો પર ખડકવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહીના બીજા દિવસે 18 હેક્ટર જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડની સહાયતાથી અલંગ અને મણાર ગામે સરકારી પડતર અને ગાૈચરની 63 હેકટર જમીન પર ખડકવામાં આવેલા 459 દબાણ હટાવવાની કામગીરી બુધવારથી શરૂ થઇ હતી. ગુરૂવારે 18 હેકટર જમીન પરથી 48 દબાણ હટાવવામાં આવ્યા છે જેની અંદાજીત કિંમત 40 કરોડ આંકવામાં આવી રહી છે. બે દિવસમાં 63 પૈકી માત્ર 26 હેક્ટર જમીન પર બુલડોઝર ફરી વળ્યુ છે તેથી આ કામગીરી લાંબી ચાલવાના સંકેતો સાંપડી રહ્યા છે. તળાજા પ્રાંત અધિકારી જે.આર.સોલંકીના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 26 હેક્ટર જમીન પરથી 84 દબાણ હટાવવામાં આવ્યા છે અને તેની કુલ કિંમત 95 કરોડ થવા જાય છે. દરમિયાન ભાવનગર જીલ્લા કલેકટર બંસલે જણાવ્યુ હતુ કે, સરકારી પડતર અને ગાૈચર જમીનો પર દબાણ કરી અને તેને ભાડે આપી નાણા રળનારા શખ્સોને ઓળખવામાં આવી રહ્યા છે, અને તેઓના સામે કડક કાર્યવાહી પણ કરાશે.
વીજ ચેકિંગ:ભાવનગર જિલ્લામાંથી 4 દિવસમાં રૂ.1.10 કરોડની વીજચોરી ઝડપાઈ
પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ ટીમોની છેલ્લા ચાર દિવસની વીજ ચેકિંગની કાર્યવાહીમાં ભાવનગર જિલ્લામાંથી રૂ.1.10 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના દરોડામાં આજે ફરીથી પાલિતાણા ડિવિઝન નીચે આવતા પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પાલિતાણા ટાઉન, પાલિતાણા રૂરલ, ગારિયાધાર-1 (શહેર) અને ગારિયાધાર-2 (ગ્રામ્ય) સબ ડિવિઝન નીચેના વિસ્તારોમાં કરાયેલા વીજ ચેકિંગમાં રૂપિયા 31.90 લાખની વીજચોરી ઝડપાઇ હતી. પી.જી.વી.સી.એલ.પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટની 13 અને સ્થાનિકની 23 ટીમો મળી કુલ 36 ટીમોના કાફલા સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં વીજ ચેકિંગની કાર્યવાહીથી વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 256 વીજ જોડાણ પૈકી 84માંથી મળી વીજચોરીપાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટ ડ્રાઈવમાં 16 એસ.આર.પી. જવાન અને 9 લોકલ પોલીસના સથવારે 243 રહેણાંકી, 10 વાણિજ્ય અને 3 ખેતીવાડી શ્રેણીના કુલ 256 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 79 રહેણાંકી, 4 વાણિજ્ય અને 1 ખેતીવાડી શ્રેણીના કુલ 84 વીજ જોડાણમાંથી વીજચોરી પકડાઇ હતી. તળાજા-મહુવા તાલુકામાં વાણિજ્યની ખાસ ડ્રાઈવખાનગી સૂત્રોની બાતમીના આધારે તળાજાના પાદરી (ભં) અને દાઠામાં વાણિજ્યની ખાસ ડ્રાઈવમાં બંને ગામોમાં બે-બે ટીમો દ્વારા ચેકિંગ કરાયું હતું પાદરીમાં એક વાણિજ્યના જોડાણમાં વીજચોરી બદલ રૂ.1 લાખ અને દાઠામાં એક જોડાણમાં વિજચોરી બદલ રૂ.3 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો.
જાહેરનામું:જિલ્લામાં 18 જાન્યુઆરી સુધી હથિયારબંધી રહેશે
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તહેવારો-ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર ભાવનગર જિલ્લામાં હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરમાવાયું છે. જે મુજબ તા.20 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી હથિયારબંધી રહેશે. સભા/સરઘસની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનારાને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.
કાર્યવાહી:છેતરપિંડીના ગુનામાં મહિલાની ધરપકડ
ભાવનગર શહેરના માનસ શાંતી પ્રાઇમ બ્લોક નં.82, બાલા હનુમાન પાસે રહેતી કોમલબેન આણંદભાઇ ત્રિવેદી નામની મહિલાએ દેવરાજભાઇ જીવણભાઇ સોલંકી નામના યુવકને અધેવાડા પાસે આવેલી રેવન્ય સર્વે નં. 76 પૈકી 2ની જમીન ચોખ્ખી કરી આપવાનો ભરોસો આપી, તેઓને રેવન્યુ તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ઘણા મોટા ઓફિસરો સાથે ઓળખાણ હોવાનું જમાવી જમીનનું કામ ચોખ્ખુ કરાવી આપવાનો વિશ્વાસ ઉભો કરી, આ જમીનના કામ પેટે દેવરાજભાઇ સોલંકી પાસેથી રૂા. 26 લાખ પડાવી લીધા હતા અને બાદમાં વધુ પૈસાની માંગણી કરતા દેવરાજભાઇએ કામ પુરૂ થાય પછી આપવાનું કહેતા, મહિલાએ બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપી વધુ પાંચ લાખ રૂપિયા પડાવી લઇ, છેતરપિંડી આચરતા દેવરાજભાઇ સોલંકીએ કોમલ ત્રિવેદી વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આજે 27 દિવસ બાદ આરોપી મહિલાની ધરપકડ કરી છે.
વિરોધ:યંગ ઇન્ડિયા કેસમાં ઈડીની કાર્યવાહી સામે ભાજપ કાર્યાલયે કોંગ્રેસનો વિરોધ
ભાવનગર | મોદી સરકારના મલિન ઈરાદા અને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ સામે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલી રાજકીય બદઈરાદાયુક્ત નીતિને કારણે કાર્યવાહીનો પર્દાફાશ થતાં કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. અદાલત દ્વારા ‘યંગ ઈન્ડિયા’ કેસમાં કોંગ્રેસના નેતૃત્વ કરનાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બદઈરાદાપૂર્વક હોવાનું સ્પષ્ટ કરતાં, ઈડીને આ કેસમાં કોઈ અધિકારક્ષેત્ર નથી તેમજ કોઈ એફઆઈઆર પણ નોંધાયેલી નથી એવું અવલોકન કરવામાં આવ્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર તા.19 ડિસેમ્બરને શુક્રવારના રોજ બપોરે 12:15 કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય સામે “સત્યમેવ જયતે” ના નારા સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર તથા જિલ્લાના કોંગ્રેસના તમામ હોદેદારો, કાર્યકરો, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુવા કોંગ્રેસ, એનએસયુઆઈ તેમજ વિવિધ સેલ અને વિભાગોના કોંગ્રેસી કાર્યકરોને હાજર રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ (લાલભા) તથા ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા જણાવ્યું છે. લોહાણા સમાજની વાડી સામેનો ગેટ, પીલ ગાર્ડન ભેગા થઈ ત્યાંથી શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ માટે જશે.
સાવધાન:વલભીપુર કલ્યાણપુર ચોકડી અકસ્માત ઝોન બની
વલભીપુરથી 1 કિ.મી.દુર ભાવનગર અમદાવાદ હાઇવે પર કલ્યાણપુર ચોકડીથી ભાવનગર,માઢીયા, સવાઇ નગર તરફ હાઇવે ડાયવર્ટ થાય છે. વલભીપુરથી ભાવનગરનો હાઇવે હાલ ફોરલેન બનતો હોવાથી મોટા ભાગના ખાનગી વાહનો હાલ કલ્યાણપુર ચોકડી પરથી માઢીયા થઇને ભાવનગર જવા માટે ઉપયોગ કરે છે અને આ રૂટનો ભાવનગરથી વલભીપુર તરફ આવવા માટે ઉપયોગ થતો હોવાથી વધુ ટ્રાફિક રહે છે. આ ચોકડીથી આગળ બરવાળા તરફથી આવતા હાઇવે ફોરલેન છે અને તેના કારણે બરવાળા બાજુથી આવતા વાહનો પુરપાટ ઝડપે આવતા હોય છે અને એકાએક કલ્યાણપુર ચોકડીથી માંડ 10-15 મીટરના અંતરથી ટુ લેન હાઇવે થઇ જતો હોવાથી બરવાળા તરફથી આવતા વાહનોને ચાલકો કંન્ટ્રોલ કરી શકતા નથી અને તેના કારણે ચોકડી વલભીપુર અને બરવાળા તરફ ટર્ન મારતા વાહનો સાથે અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ઘણીવાર રાહદારીઓ પણ પુરપાટ ઝડપે આવતા વાહનો દ્વારા હડફેટે લેતા હોવાથી કલ્યાણપુર ચોકડી સામાન્યથી લઇ ગંભીર પ્રકારના અકસ્માત ઝોન બનતો જાય છે. ગઇકાલે તાલુકા નવાણીયા ગામના ઋષીરાજસિંહ હાલુભા ગોહિલ નામના યુવાન ચાલીને જતા હતા તે દરમ્યાન પીકઅપ વાહન ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઈજાના કારણે આ આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજેલ હતું. અત્યાર સુધીમાં 17 થી 18 અકસ્માતની ઘટનાકલ્યાણપુર ચોકડી પાસે હાલ અત્યાર સુધીમાં સામાન્યથી લઇ ગંભીર પ્રકારના અકસ્માતો અંદાજે 17 થી 18 જેટલા થયા હશે અને વાહનોને માત્ર નુકશાન થયું હોય પરંતુ કોઇને ઇજા ન પહોંચી હોય તેવા બનાવ તો રોજના બે થી ત્રણ જેટલા બને છે.અકસ્માતતો થવાનું કારણ માઢીયાથી વલભીપુર તરફ જવા વળાંક લેવો પડે છે અને બરવાળા તરફથી આવતા વાહનો સ્પીડમાં આવતા હોવાથી ચાલકો સ્પીડ કંટ્રોલ કરી શકતા નથી
દારૂના કટીંગમાં ભંગાણ:નેસવડ ભાણવડ રોડ પરથી 47.80લાખનો દારૂ બિયર જબ્બે
થર્ટી ફર્સ્ટ હવે દરવાજે ટકોરા દઈ રહી છે ત્યારે ભાવનગર શહેર જિલ્લાના બૂટલેગરો જાણે સ્થાનિક પોલીસ ની રહેમરાહે દારૂ અને બીયર નો મસમોટો જથ્થો ઘુસાડવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ભાવનગર એલ.સી.બી.ની ટીમને ચોક્કસ બાતમી મળતા મહુવાના ભાણવડ પાસે વહેલી સવારે થઇ રહેલા દારૂના કટીંગ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન બુટલેગર સહિત છ જેટલા આરોપીઓ ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. અને કન્ટેનરમાં રહેલો દારૂ તેમજ બિયર કિ.રૂા. 47.80 લાખ ઉપરાંતનો જથ્થો કબ્જે કરી, આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વધુ એક કન્ટેનર ભરેલ દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં એલ.સી.બી. પોલીસને સફળતા હાથે લાગી છે. જો કે, મહુવા ટાઉન પોલીસ બુટલેગરોના દારૂના કટીંગથી અજાણ રહી હતી. મહુવાના નેસવડ-ભાણવડ નજીક આવેલ કોઠાવાળી ખોડિયાર મંદિર પાસે મહુવાનો મોટો બુટલેગર ભરત છગનભાઇ કનક દારૂનું કન્ટેનર મંગાવી કટીંગ કરતો હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે વહેલી સવારના સુમારે સ્ટાફ સાથે દરોડો પાડતા, પોલીસ આવતી હોવાની બુટલેગરોને ગંધ આવી જતા બુટલેગર ભરત છગનભાઇ જનક, મુર્તુજા અજગરઅલી ચોકવાલા (રહે. મહુવા), ટ્રકનો ચાલક સહિત છ શખ્સો બાવળની કાંટમાંથી ફરાર થવામાં સફળ થયા હતા. જે બાદ પોલીસ કન્ટેનર પાસે પહોંચી કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની જુદી જુદી કંપનીની બોટલો નંગ 6552, બિયરના ટીન નંગ 3096 કિ.રૂા.47,80,320નો મસમટો જથ્થો કબ્જે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે. હ્યુમન અને ટેકનીકલ સોર્સ આધારે શોધખોળભાવનગર એલ.સી.બી. દ્વારા સ્થાનિક બાતમીદારોને કામે લગાડ્યા છે.તેમજ ઘટના સ્થળેથી સી.ડી.આર. ની પણ વિગતો ટેકનીકલ સોર્સીસ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. જેની મદદથી આરોપી સુધી પોલીસને પહોંચવામાં ઝડપથી સફળતા મળશે. આરોપીઓ દમણથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો લાવ્યા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. સપ્તાહમાં બીજી વખત દારૂ તેમજ બિયર ઝડપાયોએક સપ્તાહ અગાઉ સિહોર પોલીસ દ્વારા કંતાનની આડમાં લવાતા મોટી માત્રામાં દારૂ તેમજ બિયર સાથે ડ્રાઇવરને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જે બાદ ફરી મોટી માત્રામાં પોલીસને દારૂ તેમજ બિયરનો જથ્થો હાથે લાગ્યો છે. આગામી થર્ટી ફર્સ્ટને લઇને ભાવનગર પોલીસે તમામ ચેકપોસ્ટ ઉપર ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે.
અકસ્માત:ભડી નજીક ગાય આડી ઉતરતા યુવકનું મોત તેમજ વલભીપુર નજીક ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં જુદા જુદા બે અકસ્માતની ઘટના બનતા બે લોકોના કરૂણ મોત નિપજવા પામ્યા છે. જિલ્લામાં થતાં છાશવારે થતા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજે છે. ભંડારીયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર બાઇક લઇને બાઇક લઇને પસાર થતા યુવકના બાઇક આડે ગાય આવી જતાં, ગાય સાથે બાઇકનો અક્સમાત થતાં યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે વલભીપુરની કલ્યાણપુર ચોકડી પાસે રાહદારી યુવકને પીકઅપ વાહન ચાલકે અડફેટે લેતા યુવકનું કચડાઇ જવાથી કરૂણ મોત થતાં બે આશાસ્પદ યુવકોના કરૂણ મોતથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે. ભાવનગર જિલ્લામાં એકી સાથે બે આશાસ્પદ યુવકોના અકસ્માતમાં કરૂણ મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે રહેતા અને મંડપનો વ્યવસાય કરતી ગુજરાન ચલાવતા ચેતનસિંહ મહિપતસિંહ ગોહિલના એકના એક પુત્ર વિશ્વરાજસિંહ ઉર્ફે ભોલુ ગોહિલ (ઉ.વ.22) જે ભાવનગર ખાતે મેડીકલ સ્ટોરમાં પ્રાઇવેટ નોકરી કરે છે. જે ગત રાત્રિના રોજ પોતાનું બાઇક લઇ નોકરી ઉપરથી ઘર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં ત્યારે ભડી ગામ નજીક એકાએક તેમના બાઇક આડે ગાય આવી જતાં તેમના બાઇકનો ગાય સાથે ધડાકાભેર અક્સમાત થતાં ગાય અને વિશ્વારાજસિંહને ગંભીર ઇજા થતાં વિશ્વરાજસિંહ ગોહિલનું કરૂણ મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં વલભીપુર પાસે આવેલ કલ્યાણપુર ચોકડી જ્યાં આ ચોકડી સતત ટ્રાફીકથી ધમધમે છે ત્યારે ગઇકાલે ઋષીરાજસિંહ હાલુભા ગોહિલ નામનો આશાસ્પદ યુવક ચાલીને રોડ ઉપર જઇ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી આવેલા કાળમુખા પીકઅપ વાહનના ચાલકે ઋષીરાજસિંહને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બંન્ને ઘટનામાં પોલીસે તજવીજ શરૂ કરી છે.
રોગચાળાની ભીતિ:સિહોર શહેરમાં દુષિત પાણી વિતરણ કરીને નગરજનોના આરોગ્ય સાથે કરાતા ચેડા
સિહોરમાં એક તો સાતથી દસ દિવસે પાણી વિતરણ થાય છે. અને જે પાણી વિતરણ થાય છે એ પાણી પણ પેય કે શુદ્ધ હોતુ નથી. આથી નગરજનોને પાણીજન્ય રોગો થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. આ અંગે સિહોર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વિપક્ષ દ્વારા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લેતા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. કે. ગોહિલ (એડવોકેટ), ઈશ્વરભાઈ નમસા, સુરેશભાઈ ચૌહાણ, લલિતભાઈ ચૌહાણ, કિરીટભાઇ મોરી, ડી પી આંચલ દ્વારા સિહોર શહેરની જનતાને દૂષિત પાણીનું વિતરણ થતું હોય ત્યારે આરોગ્ય અધિકારી, અર્બન શાખા સિહોરને લેખિત રજૂઆત કરતા સબંધિત વિભાગના અધિકારી દ્વારા સિહોર ગૌતમેશ્વર તળાવ ખાતે આવેલ વોટરવર્ક્સની રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આથી જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને પ્રજાના ટેક્સના પૈસા દુરુપયોગ કરી બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ જોવા મળ્યું હતું અને સિહોર નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. શહેરની જનતાના આરોગ્ય સાથે છેડછાડ થાય છે તેમજ દુષિત પાણીને લીધે જનતાને પાણીજન્ય બીમારી થવાની પૂરી શક્યતાઓ વધે છે.સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી વિતરણ મુદ્દે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
રાષ્ટ્રીય તબીબી આયોગની MARB (મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ) દ્વારા વર્ષ-2025માં ભાવનગર સહિત રાજ્ય અને દેશની સરકારી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની સીટોમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ સમયાંતરે પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની સીટોમાં વધારો કરે છે. મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ તાજેતરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની ગત ઓક્ટોબરમાં 9 બેઠક વધાર્યા બાદ વધુ 13 બેઠકની ફાળવણી કરી છે. મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે ઓક્ટોબર-2025માં હાલની સીટો સામે એમ.ડી. ફોરેન્સિક દવા/ફોરેન્સિક દવા અને વિષ વિજ્ઞાનમાં 3, એમ.ડી. કોમ્યુનિટી મેડિસિનમાં 3, એમ.એસ. પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિજ્ઞાનમાં 2 અને એમ.એસ. ઓપ્થેલ્મોલોજીમાં 1 સીટ એમ કુલ મળી 9 સીટનો વધારો મંજૂર કર્યો હતો. 9 સીટના વધારાથી ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએશન (MD-MS)ની બેઠક 133 પહોંચી હતી. ત્યારે મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે એમ.ડી. પેથોલોજીમાં 2 સીટ, એમ.ડી. માઇક્રોબાયોલોજીમાં 4 સીટ, એમ.ડી. જનરલ મેડિસિનમાં 4 સીટ, એમ.ડી. બાળરોગમાં 2 સીટ અને એમ.એસ. નેત્રરોગમાં 1 સીટનો વધારો કર્યો છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન (MD-MS)ની કુલ 21 બેઠકોનો વધારો થયો છે. જે ભાવનગર મેડિકલ ક્ષેત્રે પ્રથમવાર આટલી માત્રામાં વધેલી બેઠકો હોવાથી સ્થાનિક કક્ષાએ ભાવનગરથી એમ.ડી. અને એમ.એસ.નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. 2025માં MARBએ ક્યાં અને કેટલી સીટ વધારી ? કોલેજનું નામ વધેલી બેઠક સરકારી મેડિકલ કોલેજ-ભાવનગર 22 ◾BJMC કોલેજ-અમદાવાદ 21 ◾GMERS કોલેજ-હિંમતનગર 13 ◾GMERS કોલેજ-ગાંધીનગર 10 ◾GMERS કોલેજ-સોલા,અમદાવાદ 10 ◾GMERS કોલેજ-ગોત્રી, વડોદરા 10 ◾GMERS કોલેજ-જૂનાગઢ 07 ◾સરકારી મેડિકલ કોલેજ-જામનગર 19 ◾PDU કોલેજ-રાજકોટ 02
રાજકોટ શહેરના આજી નદીના કાંઠે વર્ષોથી વસી ગયેલા જંગલેશ્વરમાં નદીના કાંઠા ઉપરાંત સરકારી જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણ ઊભા થઇ ગયા હોય અગાઉ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ બાદ ગુરુવારે અચાનક જ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા ટીપી સ્કીમ અન્વયે જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલ 80 હજાર ચોરસમીટર જમીન પર દબાણ સંદર્ભે 500થી વધુ મિલકતધારકને નોટિસ ફટકારી આગામી તા.29ને સોમવારે સુનાવણી રાખવામાં આવી છે. બીજી તરફ એક સાથે આખા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનના કાઉન્ટડાઉન વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે ધડાધડ નોટિસ ફટકારવામાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની ટીપી સ્કીમ નંબર 6માં સમાવિષ્ઠ ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159ની અંદાજે 80 હજાર ચોરસમીટર જમીન જિલ્લા સમાહર્તા રાજકોટને ખાતે આવેલ છે. જોકે રાજકોટ જિલ્લા સમાહર્તા એટલે કે, જિલ્લા કલેક્ટરની માલિકીની આ 20 એકરથી વધુ જમીન આજી નદીના કાંઠાથી લઈ જંગલેશ્વર મેઈન રોડ સુધીમાં પથરાયેલ હોય અહીં વર્ષોથી કાચા-પાકા મકાનો બનાવી દબાણ કરી લેવામાં આવ્યા છે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદીના કાંઠા વિસ્તારની મહાનગરપાલિકાની માલિકીની જમીન પરના દબાણો હટાવવા નોટિસો આપ્યા બાદ ગુરુવારે અચાનક જ મામલતદાર રાજકોટ પૂર્વ દ્વારા દસથી વધુ ટીમને મેદાને ઉતારી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે નોટિસ ફટકારવાનું શરૂ કરી તમામ દબાણકર્તાઓને 29 ડિસેમ્બરે પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરાયું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે દબાણો હટાવવાનો તખ્તોઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ બુલડોઝર એક્શન લેવાઈ રહ્યા છે, અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોએ સરકારી જમીનમાં કરેલા દબાણો હટાવવામાં આવ્યા બાદ હવે આગામી જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે પીએમના આગમન પૂર્વે કોંગ્રેસના ગઢ સમાન આ વિસ્તારમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે સરકારી જમીન પર થયેલા દબાણ હટાવવા આદેશો છૂટ્યા હોવાની સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, જ્યાં ઓપરેશન ડિમોલિશનની તલવાર લટકી રહી છે તેવા આ વિસ્તારમાં 900 જેટલા ગેરકાયદે બાંધકામ આવેલ છે. ત્રણ દિવસમાં 500થી વધુ આસામીને નોટિસ આપવાની કામગીરી થશેરાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં જિલ્લા કલેક્ટરની માલિકીની 80 હજાર ચોરસમીટર જમીન પર દબાણ દૂર કરવા મામલે 500થી વધુ ગેરકાયદેસર મિલકતધારકને રેવન્યુ તલાટી, ટીપી શાખાના કર્મચારીઓ અને નાયબ મામલતદારની ટીમ મારફતે નોટિસ આપવામાં આવી છે. આ મિલકતધારકોને તા.29ના રોજ પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું છે. નોંધનીય છે કે, એક સાથે 500 મિલકતધારકોને નોટિસ ફટકારવામાં ત્રણ દિવસનો સમય લાગે તેમ હોવાનું તેમને જણાવ્યું હતું. આજી નદી પર વધુ એક પુલના પ્રોજેક્ટમાં ગેરકાયદે બાંધકામો નડતરરૂપ થઈ રહ્યા છેરાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ બાદ અચાનક જ શહેરના પૂર્વ મામલતદાર દ્વારા વર્ષો જૂના દબાણો હટાવવા એક સાથે 500 જેટલા ગેરકાયદેસર મિલકતધારકને નોટિસ આપવા પાછળ આજી નદી પર નવો પુલ બનાવવાનો પ્રોજેક્ટ કારણભૂત હોવાનું માહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે. ટીપી સ્કીમ નંબર 6માં ઊભા થેયલા આ દબાણો હટાવવાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા અહીં તાત્કાલિક અસરથી રોડ બનાવવા માટે પણ તૈયારી કરી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
2.25 લાખ મતદારને 30 દિવસની તક:SIR બાદ તૈયાર થયેલ મતદારયાદી પ્રસિદ્ધ, હવે વાંધા-સૂચનો સાંભળશે
રાજકોટ સહિત રાજ્યભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત મતદારયાદીની સઘન સુધારણા કામગીરી પૂર્ણ થતા લોક કરવામાં આવેલ નવી મતદારયાદીની આજે શુક્રવારે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. SIR બાદ તૈયાર થયેલ આ નવી મતદારયાદીમાંથી મૃત, ગેરહાજર અને સ્થળાંતરિત 3,35,670 મતદારના નામ રદ કરી દેવામાં આવ્યા છે. સાથે જ નવી મતદારયાદીમાં જે મતદારોનું મેપિંગ નથી થઇ શક્યું તેવા 2,25,329 મતદારના નામ સામેલ કરવામાં આવ્યા છે. જો આવા મતદાર આગામી 30 દિવસમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા પુરાવા રજૂ નહીં કરે તો મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સમયે આવા મતદારોના નામ પણ નવી મતદારયાદીમાંથી હટી જશે.કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અન્વયે ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં તા.4 નવેમ્બર 2025થી બીએલઓ મારફતે ડોર ટુ ડોર એન્યુમરેશન ફોર્મ વિતરણ સાથે એસઆરઆઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની સ્થિતિ જોઈએ તો SIR પૂર્વે રાજકોટ જિલ્લામાં 23,91,027 મતદાર નોંધાયેલ હતા. જે તમામને ગણતરી ફોર્મ વિતરણ બાદ ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવતા 20,55,357 મતદારનું વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપિંગ થઇ શક્યું હતું. જ્યારે 2,25,329 મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને હાલમાં મતદારયાદીના પ્રાથમિક મુસદ્દામાં સમાવી લઇ આજે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જોકે SIR બાદ તૈયાર થયેલ મતદારયાદીમાંથી રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાંથી મૃત, ગેરહાજર અને સ્થળાંતરિત થયેલા કુલ 3,35,670 મતદારના નામ હટાવી દેવામાં આવ્યા છે. અનમેપ મતદારોને બીએલઓ ઘેર-ઘેર જઈ નોટિસ આપશેSIR કામગીરી દરમિયાન રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 23,91,027 મતદાર પૈકી 2,25,329 મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત થઇ શકે તેવા પુરાવા રજૂ કરી શક્યા ન હોવાથી આવા મતદારોને એક તક આપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ 2,25,329 મતદારને બીએલઓ મારફતે નોટિસ આપી બાદમાં જિલ્લાની આઠ વિધાનસભા વિસ્તારમાં નિમવામાં આવેલ ખાસ મતદાર નોંધણી અધિકારી સમક્ષ સુનાવણી દરમિયાન પંચે નક્કી કરેલ પુરાવા રજૂ કરવા પડશે. આવા પુરાવા રજૂ નહીં કરી શકનાર મતદારોનું નામ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સમયે નામ કમી થશે. નો-મેપિંગ થયેલા મતદારોએ આપવા પડશે આ પુરાવા SIRની પ્રક્રિયા મુજબ 2002ની યાદીમાં જેના નામ મળી આવેલ નથી, તેવા મતદારોનો સમાવેશ નો-મેપિંગની યાદીમાં કરવામાં આવ્યો છે. આવા મતદારોએ નીચે મુજબના પુરાવા બીએલઓને આપવાના રહેશે. 1 01-07-1987 પહેલાં જન્મેલાને ફકત પોતાના પુરાવા આપવાના. 2 01-07-1987થી 02-12-2004 વચ્ચે જન્મેલા હોય તો પોતાના અને પિતા અથવા માતાના પુરાવા આપવાના રહેશે. 3 02-12-2004 પછી જન્મેલા હોય તો પોતાના, પિતાના અને માતાના ત્રણેયના પુરાવા આપવાના રહેશે. મતદારયાદીમાં નામ ઉમેરવા (ફોર્મ નં-6) 1. જન્મ તારીખનો પુરાવો 2.રહેઠાણનો પુરાવો 3. પાસપોર્ટ સાઇઝનો ફોટો 4. કુટુંબના કોઇપણ સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઇ સભ્યના ચૂંટણીકાર્ડની ઝેરોક્સ સ્થળાંતર અથવા સુધારા માટે (ફોર્મ નં-8) 1. જૂના એપિક કાર્ડની ઝેરોક્સ 2. રહેઠાણનો પુરાવો 3. કુટુંબના એક સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઇપણ એક સભ્યની ચૂંટણી કાર્ડની ઝેરોક્સ 4. જો સુધારો કરવાનો હોય તો જે પ્રમાણે સુધારો કરવાનો હોય તેનો આધાર પુરાવો
કામગીરી:રૈયા-મવડીમાં 28.40 કરોડની 3800 ચો.મી. જમીન ખુલ્લી
રાજકોટ શહેરમાં સરકારી ખરાબાની અને યુએલસી ફાજલ જમીનો પર વ્યાપક પ્રમાણમાં દબાણો ખડકાઈ ગયા છે ત્યારે ગરુવારે રાજકોટ શહેરમાં પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સરવે નંબર 318માં અલગ અલગ ત્રણ સ્થળે સરકારી જમીન પર ઊભા થયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા. રૈયા સ્મશાન નજીક સરકારી જમીનમાં લકી ડોગ હોસ્ટેલ, શીતલ પાર્ક નજીક શાસ્ત્રીનગરમાં બાલાજી ગૃહ ઉદ્યોગ નામનું ખજૂરનું કારખાનું તેમજ રૈયા રોડ પર ઓમ રેસિડેન્સી પાસે અગાઉ હાથ ધરવામાં આવેલ ઓપરેશન ડિમોલિશન બાદ પણ અહીં પશુ બાંધવા માટેનો શેડ બનાવી લેવાયો હોય ત્રણેય સ્થળે મળી કુલ રૂ.20 કરોડની કિંમતની 2400 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. લકી ડોગ હોસ્ટેલ મામલે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ થઇ હતી. બીજી તરફ રાજકોટ દક્ષિણ મામલતદાર દ્વારા પણ મવડી રેવન્યુ સરવે નંબર 194 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ભલાભાઈ અમરાભાઇ નામના આસામીએ 600 ચોરસમીટરમાં પાકું બાંધકામ કરી દબાણ કરી નજીકમાં જ અન્ય કાચા ઝૂંપડાંના 800 ચોરસમીટર જેટલા દબાણો હટાવી 1400 ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. દક્ષિણ મામલતદારના જણાવ્યા મુજબ અહીં પ્રતિ ચો.મી. જમીનના અંદાજે 60 હજાર ગણતા ઓપરેશન ડિમોલિશન બાદ રૂ.8.40 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી.
બાર એસો.નું જનરલ બોર્ડ:વકીલોનોદેકારો, પ્રમુખ સહિતના બેઠક છોડી ગયા
રાજકોટ બાર એસોસિએશનની શુક્રવારે ચૂંટણી યોજાનાર છે ત્યારે વર્તમાન બોડીની છેલ્લી જનરલ બોર્ડની મિટિંગ ગુરુવારે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગત વર્ષના હિસાબો મંજૂર કરવાના મુદ્દે અને વર્તમાન બોડીના સેક્રેટરી પદેથી રાજીનામું આપનાર સંદીપ વેકરિયાના મુદ્દે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. જનરલ બોર્ડની બેઠક તોફાની બનતા અને ભ્રષ્ટાચારના મુદ્દે વાતાવરણ ગરમાતા વર્તમાન પ્રમુખ પરેશ મારૂ બે વખત બોર્ડની બેઠક છોડીને ચાલ્યા ગયા હતા અને અંતે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આગામી ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર એડવોકેટ નિરવ પંડ્યાને અધ્યક્ષ બનાવી બેઠક પૂરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે જનરલ બોર્ડની બેઠક સેક્રેટરી દ્વારા પ્રમુખની મંજૂરીથી બોલાવવામાં આવતી હોય છે અને જો સેક્રેટરી ન હોય તો ઉપપ્રમુખ અથવા જોઇન્ટ સેક્રેટરી આ કામગીરી કરતા હોય છે અને સભાનો પ્રારંભ પણ તેઓ કરાવતા હોય છે જેના બદલે વર્તમાન બોડીની છેલ્લી જનરલ બોર્ડની બેઠકની કાર્યવાહી સંજય ડાંગર નામના સભ્ય દ્વારા શરૂ કરાતા હોબાળો મચી ગયો હતો અને વકીલોમાંથી ઉગ્ર વિરોધ ઉઠયો હતો. આ બાબતે ખૂબ જ વિરોધ થતાં અંતે ઉપપ્રમુખે સભાનું સંચાલન કરવાની ફરજ પડી હતી. જનરલ બોર્ડની બેઠકમાં નેશનલ સેમિનારના ખર્ચના મુદ્દે પણ ભારે ઊહાપોહ બોલી ગયો હતો. આ બેઠકમાં પ્રમુખ પરેશ મારૂ તરફથી બાર એસોસિએશનની એફ.ડી., સભ્યપદની આવકનો હિસાબ તેમજ વેલ્ફેર ટિકિટોનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ સેમિનારના આયોજનમાં જે રકમ જુદી-જુદી કોર્ટ, કોલેજ અને યુનિવર્સિટીઓ પાસેથી ડોનેશન પેટે મળી હતી અને સેમિનારમાં ભાગ લેનાર વકીલો પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે જે રકમ લેવામાં આવી હતી તેના કોઇ હિસાબો રજૂ ન થતાં વકીલોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ધીમંત જોશી, અર્જુન પટેલ સહિતના સિનિયર ધારાશાસ્ત્રીઓએ પારદર્શક વહીવટ કરવા અને ચોખ્ખો હિસાબ રજૂ કરવા દેકારો બોલાવતા એક તબક્કે પ્રમુખ પરેશ મારૂ સહિતના સભ્યો બોર્ડની બેઠક પૂરીની જાહેરાત કરી ચાલ્યા ગયા હતા. બાદમાં તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ફરી હિસાબોની ઉઘરાણી થતા પ્રમુખ સહિતના ફરી બેઠક છોડી ગયા હતા. આમ છતાં અન્ય વકીલોએ બોર્ડની કાર્યવાહી ચાલુ રાખી હતી અને બેઠક આગળ ધપાવવા અને પૂરી કરવા આગામી ચૂંટણીના પ્રમુખ પદના ઉમેદવાર નિરવ પંડ્યાની અધ્યક્ષ તરીકે નિમણૂક કરી ઠરાવો મંજૂર કરાયા હતા. બોર્ડ દરમિયાન મિનિટ્સ બુક ચોરી જવામાં આવ્યાના આક્ષેપ સાથેની અરજી ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરાતા ભારે વિવાદના મંડાણ થયા છે. બાદમાં આ મિનિટ્સ બુક અધ્યક્ષ નિરવ પંડ્યાએ બાર એસોસિએશનમાં ફરી જમા કરાવ્યું હતું. કોર્ટના કર્મચારીએ પોલીસમાં અરજી કરી, બીજીબાજુ મિનિટ્સ બુક કોર્ટમાં હોવાનો દાવોજનરલ બોર્ડમાં ભારે બઘડાટી બોલ્યા બાદ રાજકોટ બાર એસોસિએશનના ઓફિસ કર્મચારી તુષાર ચૌહાણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મેહુલ મહેતાએ મિનિટ્સ બુક છીનવી લીધી છે અને પરત આપવા વિનંતી કરવા છતાં પરત આપેલ નથી તેવી ફરિયાદ કરી હતી. દરમિયાનમાં બીજીબાજુ મિનિટ્સ બુક કોર્ટના કર્મચારી પાસે જ હોવાની અને તેની બાજુમાં વર્તમાન બોડીના એક કારોબારી સભ્ય ઊભા હોવાનો વીડિયો હરીફ જૂથે વાઇરલ કરતા આખો દિવસ આ વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપોની સત્યતા ચકાસવા પાંચ વકીલની નામ આપવા માગણીજનરલ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમાયેલા નિરવ પંડ્યાએ 3 ઠરાવ કર્યા હતા. જેમાં ઠરાવ નં.1માં લીગલ સેમિનારમાં જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયાના અહેવાલ છે તેના માટે તટસ્થ પાંચ વકીલના નામો જાહેર કરવાનું માગણી કરનારને જણાવેલ છે. ઠરાવ નં.2માં જે વકીલોને બોર્ડમાં સાંભળેલ નથી તેમની પાસે લેખિતમાં રજૂઆતો માગી, ઠરાવ નં.3માં સને-2025ના હોદ્દેદારોએ જે રીતે મનમાની કરી બંધારણ વિરુદ્ધ બે વાર બોર્ડ ચલાવેલી છે તેને વખોડી કાઢે છે. મિનિટ્સ બુકની ફરિયાદ આપવાની હતી અને તે પોલીસ સ્ટેશન પહોંચી ગઇબાર એસોસિએશનના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તુષાર જે.ચૌહાણે પ્રમુખને ઉદ્દેશીને મેહુલભાઇ મહેતાએ મિનિટ્સ બુક છીનવી લીધાનો પત્ર લખ્યો હતો. જેમાં વિનંતી કરવા છતાં મિનિટ્સ બુક પરત ન આપ્યાનું પણ જણાવ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવા અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માગ કરી હતી. આ પત્ર પ્રમુખને ઉદ્દેશીને લખાયો હતો, પરંતુ આમાં પણ કોઇ તકસાધુ રાજકારણ ખેલી જતા પત્ર સીધો ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં પહોંચીને જમા થઇ ગયો હતો.
વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને આવકારવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે લોકોએ અત્યારથી જ ગોવા, મુંબઈ અને દિલ્હી જેવા પ્રવાસન સ્થળો પર પસંદગી ઉતારી છે. જોકે, છેલ્લી ઘડીએ આયોજન કરનારા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે, રાજકોટથી ઉપડતી મોટાભાગની લાંબા અંતરની ટ્રેન અત્યારથી જ ‘’હાઉસફુલ’’ થઈ ગઈ છે. ટ્રેનમાં જગ્યા ન મળતા લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા છે, પરંતુ ત્યાં પણ ખિસ્સા ખાલી કરવા પડે તેવી સ્થિતિ છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતાં જ રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટના ભાડામાં બેથી ત્રણ ગણો વધારો નોંધાયો છે. ગોવા જતી ફ્લાઈટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. ટ્રેનો હાઉસફુલ હોવાને કારણે હવે મુસાફરો પાસે માત્ર ‘તત્કાલ ટિકિટ’ જ એકમાત્ર આખરી વિકલ્પ બચ્યો છે. જોકે, તત્કાલ બુકિંગમાં પણ ભારે ધસારો રહેવાની શક્યતાને જોતા મુસાફરો ચિંતામાં મુકાયા છે. થર્ટી ફર્સ્ટ મનાવવા ગોવા ફ્લાઈટમાં જવું પણ મોંઘું પડશેરાજકોટથી ગોવા જતી ફ્લાઈટના ભાડામાં સામાન્ય દિવસોની સરખામણીએ થર્ટી ફર્સ્ટ પર વધારો જોવા મળે છે. ટ્રેનમાં લાંબુ વેટિંગ હોવાથી જે પ્રવાસીઓ છેલ્લી ઘડીએ હવાઈ માર્ગે જવાનું વિચારી રહ્યા છે તેમને ફ્લાઈટના ઉંચા ભાડાનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગોવા જેવા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન માટે વિમાનની ટિકિટના ભાવ વધુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો 4થી 5 હજાર ટિકિટ હોય છે, પરંતુ થર્ટી ફર્સ્ટ સુધીમાં 8થી 10 હજાર સુધી પહોંચી જાય છે. મુંબઈ જતી આટલી ટ્રેનમાં વેઈટિંગ ટ્રેન વેઈટિંગ દુરંતો એક્સપ્રેસ (રીગ્રેટ) ટિકિટ જ નહીં મળે જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ 69 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 114 સૌરાષ્ટ્ર મેલ 45 વેરાવળ-પુણે એક્સપ્રેસ ટિકિટ જ નહીં મળે સૌરાષ્ટ્ર જનતા (રીગ્રેટ) ટિકિટ જ નહીં મળે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 52 રાજકોટથી ગોવા જતી ટ્રેનમાં વેઈટિંગ ટ્રેનનું નામ વેઈટિંગ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 114 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ 69
શહેરમાં ફરી એક વખત કળિયુગના હાજરાહજુર દેવ શ્રીહનુમાનજી મહારાજની “શ્રીહનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શહેરના રેસકોર્સ મેદાન ખાતે તા.27 ડિસેમ્બરથી 2025થી તા.2 જાન્યુઆરી 2026 સુધી સાંજે 8:30 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી યોજાશે. જેમાં વ્યાસપીઠે સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ પૂર્વે વિરાણી હાઇસ્કૂલ મેદાનથી તા.27 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થશે. આ ભવ્ય પોથીયાત્રામાં હાથી, ઊંટગાડી, બળદગાડી, બુલેટ-બાઇક, બગી, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ દરેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત કથામાં યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત ગાઇને કરવામાં આવશે અને પૂર્ણાહુતિમાં વંદે માતરમ ગાવામાં આવશે. આ કથામાં દરરોજ 50,000થી પણ વધારે ભક્તો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દરેક ભક્તો માટે દરરોજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાની વિશેષતા એ છેકે, સ્થળ પર વિશાળ મેઇન સ્ટેજ, સ્ટેજ પર બે વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન લગાવાશે. ઉપરાંત ભક્તો માટે 12x20 ફૂટની 8 વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવશે. સ્ટેજની એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે. કથા સ્થળ ઉપરાંત મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની અભિભૂતી કરાવતું મંદિર બનાવાશે. ગુંદીની ગદા બનાવી પ્રસાદનું વિતરણ, દુબઇથી 2 હજાર કિલો ચોકલેટ મંગવાશે31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ હોય છે આ દિવસને લોકો જૂના વર્ષને વિદાય આપવાનો અને નવા વર્ષનું સ્વાગત કરવાનો દિવસ તરીકે યુવા વર્ગ મોડી રાત સુધી ઉજવણી કરે છે, પરંતુ હકીકતમાં આપણા હિન્દુ નવા વર્ષ તરીકે દિવાળી બાદ બેસતા વર્ષને માનવામાં આવે છે. તેથી યુવા વર્ગની આ માનસિકતા બદલી ધાર્મિક રસ્તે વાળવા માટે આ યુવા કથામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાશે. જેમાં ગુંદીની ગદા બનાવી તે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત દુબઇથી 2000 કિલો ચોકલેટ મંશાવાશે.
ફરિયાદ:દોઢ વર્ષથી સાથે રહેતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો યુવતીના ભાઈ-માતા પર હુમલો
શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા અને કોરિયોગ્રાફરનું કામ કરતાં સોયબ નામના શખ્સે બે વર્ષ પહેલાં ગંજીવાડાની યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા બાદ બંને સાથે રહેતા હોય જેથી યુવતીની માતા અને ભાઈએ તેને ઘરે રોકાવા બોલાવતા આ શખ્સે આવી પહોંચી યુવતી, તેના ભાઈ અને માતા સાથે ઝઘડો કરી માર મારતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં શહેરના ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં.24 બજરંગ ચોકમાં રહેતા હર્ષદભાઈ શૈલેષભાઈ વાડોદરા(ઉં.વ.18) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોયબ અબ્દુલભાઈ ભાવર અને મુસ્કાનનું નામ આપ્યું હતું. હર્ષદભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બુધવારે સાંજના છએક વાગ્યે પોતે પોતાની માતા અને ફઈના દીકરા અનુભાઈ સોઢાને લઈને માધાપર ચોકડીથી આગળ રાધે હોટેલની સામે રહેતી તેની મોટી બહેન છેલ્લા એક વર્ષથી સોયબ સાથે રહેતી હોય તેણે મળવા માટે સોયબના ઘરે ગયા હતા ત્યારે બહેન મુસ્કાને સોયબને તેમના આવ્યા અંગેની જાણ કરી દેતા સોયબ આવી પહોંચ્યો હતો. જે દરમિયાન તેના માતા પાયલબેનને ઘરે રોકાવા માટે બોલાવી રહ્યા હોય જેની આ સોયબે ના કહી દેતા ઉશ્કેરાઈ જઈ તેના સમાજ વિશે બોલવા લાગતા તેનું માથું દીવાલમાં ભટકાડી દઈ તેની બહેન અને માતાને માર મારવા લાગ્યો હતો. બીજા પક્ષે યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ મનહરપુર 1માં રહેતા સોયબ અબ્દુલભાઈ ભાવર(ઉં.વ.27)એ ગંજીવાડા શેરી નં.24માં રહેતા હર્ષદ શૈલેષભાઈ વાડોદરા અને અનુભાઈ વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે કોરિયોગ્રાફર તરીકે નોકરી કરે છે. બે વર્ષ પૂર્વે પાયલ શૈલેષભાઈ વાલ્મીકિ સાથે તેને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થતા બંને છેલ્લા દોઢેક વર્ષથી સાથે રહે છે. અઠવાડિયું રોકાવાનું કહેતા પાયલનો ભાઈ બોલવા લાગ્યો કે, પાયલ સોયબથી ડરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ તેને દીવાલ તરફ ધક્કો મારી સાણસી માથાના ભાગે મારતા સિવિલમાં દાખલ થયો હતો.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)-NET ડિસેમ્બર 2025 ની પરીક્ષા માટેનું સત્તાવાર વિષયવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં મદદનીશ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટેની આ પ્રતિષ્ઠિત પરીક્ષા આગામી 31 ડિસેમ્બર 2025 થી 07 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. NTA એ સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારોને તેમના પરીક્ષાના શહેર વિશેની માહિતી પરીક્ષાના 10 દિવસ પહેલાં સત્તાવાર વેબસાઇટ પર આપી દેવામાં આવશે. ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિતપણે NTA ની વેબસાઇટ https://ugcnet.nta.nic.in/ જોતા રહેવું. કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કે મૂંઝવણ માટે ઉમેદવારો NTAના હેલ્પલાઈન નંબર 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા ugcnet@nta.ac.in પર ઇ-મેલ મોકલી શકે છે. ટાઈમટેબલ | પહેલા દિવસે લો, સોશિયલ વર્ક સહિતના વિષયોની પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે 31 ડિસેમ્બર 2025 | પ્રથમ દિવસે લો (Law), તેલુગુ, સોશિયલ વર્ક અને ટૂરિઝમ એડમિનિસ્ટ્રેશન જેવા વિષયોની પરીક્ષા યોજાશે. 02 જાન્યુઆરી 2026 | આ દિવસે કમ્પ્યૂટર સાયન્સ, સાઇકોલોજી, લાઇબ્રેરી સાયન્સના વિષયોનો સમાવેશ થાય છે. 03 જાન્યુઆરી 2026 | કોમર્સ, જીઓગ્રાફી (ભૂગોળ), એજ્યુકેશન અને સંસ્કૃત વિષયના ઉમેદવારોની પરીક્ષા લેવાશે. 05 જાન્યુઆરી 2026 | ઇંગ્લિશ, હિસ્ટ્રી, પોલિટિક્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિષયોની પરીક્ષા નિર્ધારિત છે. 06 અને 07 જાન્યુઆરી 2026 | અંતિમ દિવસોમાં પોલિટિકલ સાયન્સ, હિન્દી, ઈકોનોમિક્સ અને બાકીના વિષયોની પરીક્ષા. શિફ્ટ-1 : સવારે 09:00થી બપોરે 12:00 વાગ્યા સુધી. શિફ્ટ-2 : બપોરે 03:00થી સાંજે 06:00 વાગ્યા સુધી.
શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતા વિકસાવવા તથા સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા શોધ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સંશોધનકર્તા વિદ્યાર્થીને 2 વર્ષ સુધી માસિક રૂપિયા 15 હજાર અને આ સિવાય સ્ટેશનરી, કેમિકલ સહિતની ખરીદી માટે વાર્ષિક 20 હજારની મદદ કરી રહી છે. એટલે કે એક વિદ્યાર્થીને વર્ષે રિસર્ચ માટે રૂ.2 લાખ અને બે વર્ષમાં રૂ.4 લાખની સ્કોલરશિપ મળશે. તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીમાં પીએચ.ડી હેઠળ સંશોધન કરતા જે વિદ્યાર્થીઓની શોધ યોજના હેઠળ પસંદગી થઇ છે તેની યાદી જાહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 39 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીને આગામી બે વર્ષ સુધી સંશોધન કરવા માટે દર મહિને 15 હજારની ફેલોશિપ મળશે. યુવાનો ઉચ્ચ શિક્ષણ થકી પોતાના સંશોધનને વિશ્વકક્ષાનું બનાવી શકે અને તેમાં આર્થિક રીતે કોઈ અડચણ ઊભી ન થાય તે માટે પીએચ.ડી કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ (SHODH) યોજના લાગુ કરી છે. આ યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેનું પરિણામ જાહેર કરાયું છે જેમાં રાજ્યમાં જુદી જુદી સરકારી-ખાનગી યુનિવર્સિટીના કુલ 753 વિદ્યાર્થી પસંદગી પામ્યા છે. ક્યાં વિષય/ વિભાગનાકેટલા વિદ્યાર્થી સિલેક્ટ થયા વિષય/વિભાગ વિદ્યાર્થી સંખ્યા સોશિયોલોજી 07 સંસ્કૃત 11 એજ્યુકેશન 03 હિન્દી 02 ઇકોનોમિક્સ 03 અન્ય વિષય 13 2024માં 90 વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા, આ વર્ષે ઘટીને 39 થયાઅગાઉ શોધ યોજનામાં પસંદગી પામનાર સંશોધકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી વધી રહ્યા છે. વર્ષ 2021માં 110 વિદ્યાર્થીની આ યોજનામાં પસંદગી થઇ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યમાં પાંચમા ક્રમે રહી હતી, પરંતુ ત્યારબાદ વર્ષ 2022માં માત્ર 58 વિદ્યાર્થીને જ આ યોજનાનો લાભ મળ્યો હતો અને વર્ષ 2023ના જાહેર થયેલા લિસ્ટમાં 82 વિદ્યાર્થીની પસંદગી થઇ હતી. જ્યારે વર્ષ 2024માં 90 વિદ્યાર્થી પસંદગી પામ્યા હતા, પરંતુ વર્ષ 2025માં પસંદગી પામનાર વિદ્યાર્થીની સંખ્યા ઘટીને ફરી 39 થઇ છે. સૌથી વધુ સોશિયોલોજીના બે વિદ્યાર્થીને 100માંથી 78 માર્ક મળ્યાSHODH યોજનામાં સૌથી વધુ સોશિયોલોજી વિષયના બે વિદ્યાર્થીને 100માંથી 78 માર્ક મળ્યા છે જેમાં બાલાસરા રાધાબેન અને જાડેજા રિદ્ધિબાનો સમાવેશ થાય છે. જ્યારે કેમિસ્ટ્રીમાં પરમાર રવિને 100માંથી 73 માર્ક, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નારીગરા વિવેકને 72 માર્ક, રૂરલ સ્ટડીઝના ચાંગેલા યશકુમારને 71 માર્ક, ઇકોનોમિક્સમાં ગજેરા સોનલને 70 માર્ક, સોશિયોલોજીમાં જાડેજા યોગીરાજસિંહને 70 માર્ક અને માળિયા મુદિતાને 70 માર્ક મળ્યા છે.
ફરિયાદ:રાજકોટના પોલીસમેનના પિતાની દોઢ કરોડની જમીન પર કબજો કરી લેવાયો
રાજકોટની ભાગોળે કુવાડવા તાબેના રાજગઢ ગામમાં આવેલી રાજકોટના પોલીસમેનના પિતાની રૂ.1.5 કરોડની જમીન તેના ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા શખ્સે પચાવી પાડતા આ મામલે કુવાડવા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શહેરની ભાગોળે રાજગઢ ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા ઘનશ્યામસિંહ લખુભા જાડેજા(ઉં.વ.63) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજગઢ ગામે જ રહેતા દેવાયતભાઈ દેહાભાઈ લાવડિયાનું નામ જણાવ્યું હતું. ઘનશ્યામસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલમાં પોતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેમની વારસાગત જમીન કે જે રાજકોટ તાલુકાના રાજગઢ ગામના ખેતીની જમીન સરવે નં.95 પૈકી 1 પૈકીની જમીન હે.આ.ચો.મી. 1-82-11ની જમીન ઉપર બાજુમાં જ જમીન ધરાવતા સરવે નં.89ના કબજેદાર દેવાયતભાઈ લાવડિયાનો કબજો જણાઇ આવતા જમીન ખાલી કરવા બાબતે જણાવતા તેમણે જમીન માપ્યા બાદ તમારી જમીન તમને આપી દઇશ એમ કહી હજુ સુધી પોતાની જમીનની માપણી કરી ન હતી અને તેમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડેલ જે જમીનની કિંમત હાલમાં રૂ.1.5 કરોડ છે.
રાજકોટના નામચીન અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભૂપત બાબુતરના ભત્રીજા સહિતના શખ્સોએ ખાણીપીણીના ધંધાર્થી અને તેના કારીગર પર હુમલો કરી વેપારીનો હાથ ભાંગી નાખ્યો હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ બનાવમાં બેડી ગામની ચામુંડા સોસાયટીમાં રહેતા અને બેડીમાં દાળ પકવાનની દુકાન ચલાવતા વિપુલ રાણાભાઇ વડેચા(ઉ.વ.32)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દેવશી બાબુતર અને તેની સાથેના પાંચ અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરતા આરોપી હજુએ પોલીસ પકડથી દૂર હોય આ મામલે વધુ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. વધુમાં આ મામલે કમિશનર કચેરી ખાતે લોકો દ્વારા આરોપી સામે કડક પગલાં લેવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
તપાસ:પડધરીના સરપદડમાં ડિમોલિશનની નોટિસ મળતા દંપતીનો ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ
પડધરીના સરપદડમાં સરકારી ખરાબામાં ઊભા કરેલા મકાન-દુકાન પર ડિમોલિશન કરવા તંત્રએ ગામના 71 લોકોને નોટિસ આપી હોવા છતાં સરપંચ સહિતના 7 લોકો માત્ર એક ઉપર જ માનસિક દબાણ કરી ચાની દુકાન પડાવી નાખવા ધમકી આપતા હોવાથી દંપતીને લાગી આવતા ઝેરી પી લીધું હોવાથી તબિયત લથડતાં તાકીદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પડધરીના સરપદડ ગામે રહેતાં રાજેશભાઇ છગનભાઇ સનુરા અને તેના પત્ની દક્ષાબેન રાજેશભાઈ સનુરાએ રાતે દસેક વાગ્યે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. દંપતીએ આક્ષેપ કર્યો હતો કે, ગામના બસ સ્ટેશન પાસે આવેલી તેની ચાની હોટેલ-દુકાનનું અગાઉ ડિમોલિશન કરાવી પડાવી નખાઇ હતી. હવે ફરીથી તેના સહિત બીજા લોકોએ દુકાનો-હોટેલ ચાલુ કર્યા છે, પરંતુ તેમાંથી માત્ર તેમને જ તંત્ર તરફથી નોટિસ મળે છે. તંત્રવાહકો નોટિસ લઈને ઘરે પહોંચી જાય છે. અંતે કંટાળી જઈ તેમણે આ પગલુ ભર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સરપદડ ગામના બસ સ્ટેશન પાસે આવેલા મકાન અને હોટેલના ડિમોલિશનની 71 લોકોને નોટિસ મળી હતી અને પાંચ માસ પૂર્વે ડિમોલિશન કરવામાં આવ્યું હોય જેથી રાજેશભાઈ બસ સ્ટેશન પાસે કેબિન રાખીને હોટેલ ચલાવતા હતા. અગાઉ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હોવાથી રાજેશભાઈને નુકસાન થયું હતું, પરંતુ સમાજે સપોર્ટ કરતા ફરી તેમણે કેબિન શરૂ કરી હતી. 71 લોકોને નોટિસ આપવામાં આવી છે. રાજેશભાઈ એક ઉપર જ ગામના સરપંચ સહિત 7 લોકો કેબીન ખાલી કરાવવા ધમકી આપતા હોય જો ખાલી ન કરે તો ઘર પણ પડાવી નાખવાનું અવાર-નવાર કહેતા હોવાથી દંપતીએ કંટાળી જઈ પગલું ભર્યું હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ યથાવત્ રાખી છે. ચિઠ્ઠીમાં સરપંચ બાબુભાઈ, પૂર્વ સરપંચ પરસોત્તમ પટેલ, બિપીનભાઈ ધ્રાંગિયા, અલ્પેશ રૂપારેલિયા, રજની રૂપારેલિયા, નિલેશ ધ્રાંગિયા, બેચર રાતડિયા સહિતના 7 લોકોના નામનો ઉલ્લેખ કરી ઝેર પી લેતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે. પાંચ સ્ટેપમાં નામની ચકાસણી થઈ શકશે. જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી તો ચિંતા કરવાની જરુર નથી. નામ નહીં હોય તેની સામે કારણ પણ આપેલું હશે. જે કારણને લઈ તમે 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશો. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ તમે કઈ રીતે ઓનલાઈન નામ ચેક કરશો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં સમજાવીશું. આજે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી તમારી માહિતી મેળવી શકશો. સ્ટેપ 1સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat - Gujarat State Portal) જોવા મળશે. જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે. સ્ટેપ 2આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લીંક્સ હેડિંગ લખેલું જોવા મળશે. જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 : List of Absent/Shifted/Deleted Electors લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે. સ્ટેપ 3નવા વેબ પેજમાં વાદળી લીટીમાં List of Absent/Shifted/Dead Voters નામનું હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાના નામ હશે. અહીંયા ડિસ્ટ્રીક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને Show એમ ત્રણ કોલમ હશે. તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા Show નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ આપવા માટે કચ્છ જિલ્લો લીધો છે.) સ્ટેપ 4તમે Show બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે.આ મતવિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભા મતવિસ્તાર લીધો છે.) સ્ટેપ 5હવે તમે જે વિધાનસભા મતવિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઇવ ખૂલી જશે. જેમાં ઘણી બધી PDF ફાઈલ જોવા મળશે. કોઇ PDF ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઇ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે. તેના પરથી તમે આ PDF ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઇ શકશો. અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે. SIRની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો. જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા BLO અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો. સ્ટેપ 6તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને BLOનું નામ, હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે. રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે. આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે. માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે. જેમાં જે-તે વ્યક્તિનું નામ, તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે. સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે. (અહીં ઉદાહરણ આપવા માટે અંજાર વિધાનસભામાં આવતા નાગોર મતવિસ્તાર લીધો છે.) આમ આ રીતે તમે અત્યારે જ 2 મિનિટમાં ગુજરાતના કોઇપણ જિલ્લા, મતવિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાર્ડકોપી અને સોફ્ટકોપી અપાશેમુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થવાના દિવસે રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. સાથે જ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની હાર્ડકોપી અને સોફ્ટકોપી આપવામાં આવશે. સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી સુપરત કરાઈભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર્સ (BLO) અને બુથ લેવલ એજન્ટોની બેઠક પૂર્ણ કરવામાં આવી છે અને તેમને ASD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી પણ સુપરત કરાઈ છે. 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશેચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર SIR પ્રક્રિયા દરમિયાન માન્ય રાજકીય પક્ષો સાથે સતત સંવાદ રાખીને તેમના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું છે. આ હકારાત્મક અને પારદર્શક પ્રક્રિયા બાદ હવે આજે મુસદ્દા મતદારયાદી જાહેર થવા જઈ રહી છે. મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પછી આજે 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી મતદારયાદી સંબંધિત વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે. મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે આ રીતે ચેક કરી શકસોમતદારો પોતાનું નામ મુસદ્દા મતદારયાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે CEO ગુજરાતની વેબસાઇટ, વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET એપ, પોતાના વિસ્તારના BLO પાસેથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી, ERO તથા AERO કચેરીમાંથી માહિતી મેળવી શકશે. પોતાની વિગતો ચોક્કસ રીતે ચકાસી લેજોચૂંટણી તંત્રએ તમામ પાત્ર મતદારોને અપીલ કરી છે કે તેઓ સમયમર્યાદામાં પોતાની વિગતો ચોક્કસ રીતે ચકાસી લે અને જરૂરી હોય તો સુધારાની કાર્યવાહી કરે, જેથી લોકશાહીના આ મહત્ત્વના દસ્તાવેજમાં કોઈ પાત્ર મતદાર રહી ન જાય અને કોઈ અપાત્ર મતદાર સામેલ ન થાય.
નાનાં માણસોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી મોટા માણસોનું કાળું નાણું સફેદ કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ આખો ખેલ કેવી રીતે ખેલાય છે, તેની વિગતો ભાસ્કરે પુરાવા સાથે મેળવી છે. સૌથી પહેલાં અમે કિશન બથવાર નામની વ્યક્તિને મળ્યા. અમદાવાદમાં નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા અભિરાજ કોમ્પલેક્સમાં એક ઓફિસમાં કિશન બથવાર ઓફિસબોય તરીકે કામ કરતો હતો. ઝેરોક્ષ કરાવવાની, ચા-પાણી બનાવવાના. કિશનનો મહિને 12 હજાર પગાર નક્કી થયો હતો. કિશનનો મિત્ર સ્વપ્નીલ પંચાલ આ ઓફિસ સંભાળતો હતો એટલે મિત્રતાના નાતે તેણે કામ આપ્યું. પણ કિશનને પછીથી ખબર પડી કે તેનો મિત્ર સ્વપ્નીલ પંચાલ જે ઓફિસમાં કામ કરે છે અને પોતાને જ્યાં કામ પર રખાવ્યો છે ત્યાં મસમોટા કાળા કામ થઈ રહ્યા છે. સ્વપ્નીલ પંચાલે કિશન બથવારને કહ્યું કે, તારો પગાર તારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. એ પણ અમારી નક્કી કરેલી બેન્કમાં. માટે તારા ડોક્યુમેન્ટ આપી દે. તારા નામથી બેન્ક એકાઉન્ટ ખુલશે. કિશન બથવારે મિત્ર પર વિશ્વાસ કરીને ડોક્યુમેન્ટ આપી દીધા. હવે થાય છે એવું કે જે ઓફિસ ચલાવતા હતા ત્યાં સ્વપ્નીલ મીડિયેટર હતો, મધ્યસ્થી હતો. કિશનનો આરોપ છે કે સ્વપ્નીલ બધા કાળા કામો સંભાળતો હતો. સ્વપ્નીલે કિશન બથવારના ડોક્યુમેન્ટ લઈ લીધા. ઈન્કમટેક્સ સર્કલ પાસે આવેલી ધનલક્ષ્મી બેન્કમાં ભવાની એન્ટરપ્રાઈઝ નામથી ખાતું ખુલે છે. આ ભવાની એન્ટરપ્રાઈઝનો પ્રોપરાઈટર બનાવી દેવાયો કિશન બથવારને. શું ચાલી રહ્યું છે તે તેને ખબર ન પડી પણ તેની ઓફિસમાંથી જે સૂચના મળતી ગઈ તેમ કરતો ગયો અને સહીઓ કરતો ગયો. તપાસ કરતાં ખબર પડી કે પોતાના ખાતામાં 250 કરોડ કરતાં વધારેની રકમના ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યાં છે !! કિશનને ઓન પેપર ભવાની એન્ટરપ્રાઈઝ નામની કંપનીનો માલિક બનાવી દેવાયો. બેન્કમાં ખાતુ્ં ખોલાવી દેવાયું. હવે હેરાફેરીનો ખેલ શરૂ થાય છે. રોકડા રૂપિયા જમા થાય છે. રોકડા રૂપિયા ઉપડે છે. બહુ ભાગ્યે જ ચેકથી રકમ જમા થાય છે ને ચેકથી વિડ્રો થઈ છે. અમે કિશન બથવારને મળીને ભવાની એન્ટરપ્રાઈઝની જાન્યુઆરી-2024થી ઓગસ્ટ-2025 સુધીની એટલે કે 19 મહિનાની ટ્રાન્ઝેક્શનની એન્ટ્રીઓ મેળવી. ભાસ્કરે આ એન્ટ્રીઓનો અભ્યાસ કર્યો તો ખ્યાલ આવ્યો કે તેમાં 18 લાખ, 23 લાખ, 29 લાખ મળીને બે રાજકીય પાર્ટીઓના કેશ જમા થયા છે. આમ જનમત પાર્ટી અને ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી. આ કેશ જમા તો થયા પણ પછી ભવાની એન્ટરપ્રાઈઝે જ તેને વ્હાઈટમાં ચેકથી ટ્રાન્સફર કરી દીધા હોય. આ રીતે કાળા નાણાંમાંથી ધોળાનો ખેલ આગળ વધ્યો. ભાસ્કરે ભવાની એન્ટરપ્રાઈઝ કંપનીના ધનલક્ષ્મી બેન્ક એકાઉન્ટની જાન્યુઆરી-2024થી ઓગસ્ટ-2025 સુધીની તમામ એન્ટ્રીઓ ચેક કરી. 139 પાનાંની 1400 જેટલી એન્ટ્રીઓ ચેક કરતાં જાણવા મળ્યું કે, આમાં ભવાની એન્ટરપ્રાઈઝની 138, અંબાજી એન્ટરપ્રાઈઝની 33, શિવખોડલ કન્સ્ટ્રક્શન્સની 75 અને મહેશ દેસાઈના નામની 82 એન્ટ્રી છે, જે સૌથી વધારે છે. બીજી ખાસ વાત ધ્યાને એ આવી કે ભવાની એન્ટરપ્રાઈઝમાંથી અંબાજી એન્ટરપ્રાઈઝમાં એક જ દિવસમાં બે વખત રોકડા જમા થયા છે. 7 ઓક્ટોબર 2024ના દિવસે 7 લાખ અને એ જ દિવસે 8 લાખ જમા થયા છે. એટલે એક જ દિવસમાં 15 લાખ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર થયા છે. ટ્વિસ્ટ એ છે કે જે રીતે ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવારના નામથી ભવાની એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવાઈ છે તેવી રીતે તેના મિત્ર સ્વપ્નીલ પંચાલના નામથી અંબાજી એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવાઈ છે. ધનલક્ષ્મી બેન્કની એન્ટ્રીઓ ચેક કરતાં સ્વપ્નીલ પંચાલના નામે સમયાંતરે પાંચ વખત રોકડ રકમ જમા થઈ છે. જેમાં 22 એપ્રિલ 2024એ 4,99,900 રૂપિયા, 29 એપ્રિલ 2024એ 4 લાખ રૂપિયા, 15 મે 2024એ 5 લાખ રૂપિયા અને 20 જુલાઈ 2024એ 1 લાખ રૂપિયા જમા થયા છે. સરખેજ પાસે રહેતા કિશન બથવારે બધી માહિતી તો ભાસ્કરને આપી પણ ભાસ્કરે ઓન કેમેરા બોલવાનું કહ્યું તો તેણે પહેલાં ના પાડી. પછી ભાસ્કરે ખાતરી આપી કે કેમેરામાં ચહેરો નહિ આવે ત્યારે કિશન બથવારે ઓન કેમેરા થોડી વાત કરી. કિશન બથવારે ભાસ્કર સાથે શું વાત કરી? મારું નામ કિશન ડાયાભાઈ બથવાર છે. મારો મિત્ર હતો સ્વપ્નીલ પંચાલ. તે મને નોકરી માટે ઓફિસમાં લઈ ગયો હતો. ઓફિસ બોય તરીકે મને કામ સોંપ્યું હતું. ઝેરોક્ષ કરાવવા જવું, ચા-પાણી આપવા એ બધાં કામ કરવાના. મારો પગાર 12 હજાર નક્કી કર્યો હતો. મને માર્ચ 2025 પછી બેન્કે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મારા નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું છે. એણે મારું ખાતું ખોલાવ્યું ત્યારે એવું કહેલું કે તમારી સેલેરી માટે ખોલાવવાનું છે. મેં મારી પાસબુકમાં જોયું તો ભવાની એન્ટરપ્રાઈઝ લખેલું હતું અને મોટી મોટી રકમ જમા થઈ હતી. મેં બેન્કમાં કોન્ટેક્ટ કર્યો, કસ્ટમર સર્વિસમાં ફોન કર્યા ત્યારે ખબર પડી કે મારા ખાતામાં જ મોટી રકમો જમા થઈ છે. એકવાર ઓફિસમાં કોઈએ રેડ કરી હતી. બધો સામાન લઈ ગયા હતા. બે દિવસ રેડ ચાલી હતી. મારી પણ પૂછપરછ કરી. મેં તો કહ્યું કે હું તો ઓફિસ બોયનું કામ કરું છું. પછી તો ઓફિસ બંધ થઈ ગઈ ને હું પણ મજૂરી કામે લાગી ગયો. હું મારા એકાઉન્ટની તપાસ કરવા જાઉં તો એમ કહે છે કે તમારું એકાઉન્ટ ક્લોઝ થઈ શકે. બીજું કાંઈ નહિ થાય. જેટલી રકમ જમા કરી હતી તે બધી એ લોકોએ ઊપાડી લીધી ને મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વપ્નીલ પંચાલ મુંબઈ બાજુ ભાગી ગયો. બીજા લોકો ક્યાં ગયા તેની ખબર નથી. અત્યારે 300 રૂપિયા આસપાસ બેલેન્સ છે. કિશન બથવારના એકાઉન્ટમાં 254 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન દિવ્ય ભાસ્કરે જાન્યુઆરી 2024થી ઓગસ્ટ 2025 સુધીના દોઢ વર્ષની એન્ટ્રી ચેક કરી તો ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવારના એકાઉન્ટમાંથી 254 કરોડ 45 લાખ 26 હજાર 966 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. કિશન બથવારે જે સરનામું આપ્યું હતું તે અભિરાજ કોમ્પલેક્સ ખાતે ભાસ્કરની ટીમ પહોંચી હતી. નવરંગપુરામાં આવેલા આ કોમ્પલેક્સમાં તપાસ કરી તો 205 નંબરની ઓફિસ હતી. આ ઓફિસ ખખડધજ ને બંધ હાલતમાં હતી. પણ કોમ્પલેક્સમાં નીચે નેમ પ્લેટમાં 205 નંબરની ઓફિસમાં આર્યવર્ત ડેવલપર્સ લખેલું હતું. અમે ઓફિસનો ભાડાં કરાર મેળવ્યો તો એક મહિલાના નામે ઓફિસ નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું. આ ઈન્વેસ્ટિગેશન દરમિયાન ભાસ્કરને ચોંકાવનારી માહિતી હાથ લાગી. માહિતી એવી હતી કે કિશન બથવાર અને તેના જેવા ‘શિકાર’ બનેલા લોકોના નામે માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ખોલવામાં આવી હતી. આમના નામના યાર્ડના લાયસન્સ પણ નીકળી ગયાં. આ એવા લોકો છે જે APMCના વેપારી પણ નથી. ભાસ્કરની તપાસમાં આ કૌભાંડના તાર અમદાવાદથી સીધા અમરેલી જિલ્લાના લાઠીમાં નીકળ્યા. આગળની તપાસ કરવા માટે ભાસ્કરની ટીમ લાઠીના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી…. આટલા ટ્રાન્ઝેક્શન એકસાથે થઈ શકે? સામાન્ય રીતે નોકરી કરનાર કે બિઝનેસ કરનાર વ્યક્તિ કરંટ એકાઉન્ટ ખોલાવે, GST નંબર હોય તો પણ કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. પણ કોઈપણ માર્કેટિંગ યાર્ડનું લાયસન્સ હોય, ત્યાં તમારા નામની દુકાન હોય તો વર્ષમાં ગમે તેટલું કેશ ટ્રાન્ઝેક્શન કરો તો પણ ટેક્સ લાગે નહિ. માર્કેટિંગ યાર્ડમાં તમારા નામનું લાયસન્સ હોય, તમારા નામની દુકાન હોય તો કેશ ટ્રાન્ઝેક્શનમાં લિમિટ નથી અને તેના પર કોઈ ટેક્સ પણ નથી. આનો ગેરલાભ લઈને માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ખોલીને અનલિમિટેડ કેશ ટ્રાન્ઝેક્શનનો ખેલ ચાલતો હતો. લાઠીના માર્કેટિંગ યાર્ડમાં કિશન અને સ્વપ્નીલના નામથી દુકાનો સવાલ એ થાય કે શું કિશન બથવારને ભવાની એન્ટરપ્રાઈઝ કંપનીનો માલિક બનાવી દેવાયો તો તેના નામની દુકાન પણ માર્કેટિંગ યાર્ડમાં ખોલી હશે? તો આ સવાલનો જવાબ છે- હા. ઈન્વેસ્ટિગેશનમાં ભાસ્કરને એવો પુરાવો હાથ લાગ્યો કે એ સાબિત થઈ ગયું કે અમદાવાદમાં કાળાં નાણાંને ધોળા કરવાનું કાળું કામ કરનારા લોકોએ અમરેલી જિલ્લાના લાઠીના માર્કેટિંગ યાર્ડમાં બે દુકાનો ખોલી હતી. ક્યાંથી ક્યાં છેડા નીકળ્યા? કિશન બથવારના નામે ભવાની એન્ટરપ્રાઈઝ નામથી અને સ્વપ્નીલ પંચાલના નામે અંબાજી એન્ટરપ્રાઈઝ નામથી લાઠીના યાર્ડમાં દુકાનો છે. આ તે કેવું? અમદાવાદમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવારના નામથી છેક 230 કિલોમીટર દૂર લાઠીના યાર્ડમાં દુકાન ખુલી ગઈ. લાઠી યાર્ડમાં દુકાન એમનેમ ન ખુલે. યાર્ડનું લાયસન્સ મેળવવું પડે. લાયસન્સ મેળવ્યા પછી દુકાન ખુલી શકે. કિશનના નામનું લાયસન્સ પણ નીકળી ગયું ને લાઠીમાં તેના નામની દુકાન પણ ખુલી ગઈ. લાઠી યાર્ડમાં પાછળના ભાગે અવાવરૂ દુકાનો ઘણી છે. જે કાટ ખાઈ ગયેલી ને ખંઢેર જેવી અવસ્થામાં છે. તેમાંથી બે દુકાનમાં શટરને રંગરોગાન કરાવી બોર્ડ મારી દીધાં. એક દુકાન પર લખ્યું છે- ભવાની એન્ટરપ્રાઈઝ. અનાજ-કઠોળના હોલસેલના વેપારી. દુકાન નંબર 17. માર્કેટિંગ યાર્ડ, લાઠી, તા. લાઠી, જિ. અમરેલી. બોર્ડમાં ઉપરના ભાગે માત્ર કિશનભાઈ લખ્યું છે. અટક બથવાર લખી નથી. એવી જ રીતે યાર્ડમાં 13 નંબરની દુકાન પર અંબાજી એન્ટરપ્રાઈઝ લખ્યું છે. તેના પર સ્વપ્નીલભાઈ લખ્યું છે. અટક લખી નથી. ભાસ્કર લાઠી યાર્ડમાં પહોંચ્યું તો આ બે જ દુકાનો નવી નક્કોર જોવા મળી. જો કે બહારથી માત્ર કલર કામ કરેલું હતું. આસપાસ ઘાસ ઊગી નીકળ્યાં છે અને આજુબાજુની દુકાનો અવાવરૂ પડી છે. લાઠી યાર્ડ ઘણા સમયથી બંધ છે એટલે કોઈ તપાસ કરવા જતું નથી અમરેલી જિલ્લાનું લાઠી યાર્ડ એક સમયે જણસોથી ધમધમતું હતું પણ અમરેલીનું યાર્ડ વિસ્તર્યું અને લાઠીથી માત્ર 33 કિલોમીટર જ દૂર છે એટલે લાઠી APMCમાં કામકાજ બંધ થયું ને ખેડૂતો અમરેલી જવા લાગ્યા. લાઠી માર્કેટિંગ યાર્ડ બંધ પડ્યું છે એટલે ત્યાં કોઈ તપાસ કરવા જતું નથી, દુકાનો અવાવરુ છે. યાર્ડ આખું રેઢાં પડ જેવું છે. દુકાનોના શટર કટાઈ ગયાં છે. આસપાસ ઝાડી ઝાંખરાં ઊગી નીકળ્યા છે. આ અવાવરૂ જેવી જગ્યામાં કોઈ બંધ દુકાનના શટરને રંગરોગાન કરીને ફોટો પડાવીને લાયસન્સ કઢાવી લે તે નવાઈ છે. બીજું, સરકારી બાબુઓ જાણે છે કે લાઠી યાર્ડની કાર્યવાહી બંધ છે તો પછી લાયસન્સ કેમ કાઢી આપે છે? લાઠી યાર્ડ બંધ છે છતાં તેના ચેરમેન તો કાર્યરત છે. ભાસ્કરની ટીમ લાઠી યાર્ડના ચેરમેન દકુભાઈ પડસાળા પણ મળ્યા. અમે તેમની સાથે ઔપચારિક વાતચીત કરી. દકુભાઈએ કહ્યું કે, લાઠી યાર્ડમાં અત્યારે કોઈ જણસની ખરીદી કે વેચાણ થતા નથી. જો સરકાર ટેકાના ભાવની ખરીદી માટે સેન્ટર ફાળવે તો જ અહિયા કામગીરી થાય છે. કોઈ વેપારીએ લાયસન્સ કઢાવ્યું હોય તો તે એક વર્ષ સુધી માન્ય રહે છે. લાઠી યાર્ડમાં 45 જેવી દુકાનો એક્ટિવ છે, જેના લાયસન્સ હોય. લાયસન્સ કાઢી આપવાની સત્તા અમરેલી જિલ્લા રજીસ્ટ્રારની હોય છે. લાયસન્સ કાઢવા માટેની અરજી અમારી પાસે આવે છે. અમે ડોક્યુમેન્ટને અમરેલી જીલ્લા રજીસ્ટ્રારને મોકલીએ છીએ. તે લાયસન્સ ઈશ્યૂ કરે છે. લાયસન્સ ચાલુ રાખવું કે રદ્દ કરવું તે સત્તા માત્ર ને માત્ર અમરેલી જિલ્લા રજીસ્ટ્રારની છે. કિશન બથવારનું APMC લાયસન્સ નીકળ્યું કેવી રીતે? યાર્ડના ચેરમેન દકુભાઈ પડસાળાએ કહ્યું કે, યાર્ડમાં વેપારી તરીકેનું લાયસન્સ લેવાનું હોય તો અમે પહેલાં તેના તમામ ડોક્યુમેન્ટ મેળવીએ છીએ. યાર્ડમાં ખરાઈ કર્યા પછી અમરેલી DR (ડિસ્ટ્રીક્ટ રજીસ્ટ્રાર) પાસે જાય છે અને તે મંજૂરી આપે તો એ જ લાયસન્સ નીકળે છે. ચેરમેને નિયમ તો કહી દીધા પણ બીજો ફોડ પાડ્યો નહિ. આનો મતલબ એવો થયો કે કિશન અને સ્વપ્નીલના નામના લાયસન્સ નીકળી ગયા. તેમાં લાઠીની APMC પણ સંડોવાયેલી છે અને અમરેલી જિલ્લા રજીસ્ટ્રારે પણ ખરાઈ કરી નથી. યાર્ડમાં વેપારી તરીકે લાયસન્સ મળી જાય પછી મન પડે તેટલા ટ્રાન્ઝેક્શન કરો. કોઈ રોકનારું નથી. આખા ઈન્વેસ્ટિગેશનમાં નવું પાત્ર આવ્યું, ટ્રક ડ્રાઈવર દીપક શર્મા કિશન બથવારે એક નંબર આપ્યો. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગરમાં દીપક શર્મા નામના વ્યક્તિ રહે છે. તેમના નામથી પણ લાઠી યાર્ડમાં શોપ છે. તેમના નામથી કંપની પણ ખોલી છે અને તેમના નામે મારા ખાતામાં રકમ પણ જમા થઈ છે. અમે દીપક શર્માને ફોન કર્યો. દીપક શર્માએ ભાસ્કર ટીમને સુરેન્દ્રનગર મળવા બોલાવી. તેમણે થોડા પુરાવા આપ્યા કે જુઓ, હું તો સામાન્ય ટ્રક ડ્રાઈવર છું. મારા નામથી 'સરસ્વતી એન્ટરપ્રાઈઝ' નામથી કંપની ખોલી, બેન્ક ખાતું ખોલી નાખ્યું છે. મને ફસાવવામાં આવી રહ્યો છે. દીપક શર્માએ અમને લાઠી યાર્ડમાં પોતાના નામથી જે દુકાન ખોલી છે તેની કોપી પણ આપી. જ્યારે અમે ધનલક્ષ્મી બેન્કની એન્ટ્રી તપાસી તો તેમાં દીપક શર્માના નામથી ત્રણ એન્ટ્રી બોલતી હતી. જેમાં 30 જુલાઈ 2024માં 5 લાખ રોકડા જમા થયા. 5 ઓગસ્ટ 2024એ એક જ દિવસમાં ત્રણ ભાગમાં 5 લાખ જમા થયા. 19 સપ્ટેમ્બર 2024એ દીપક શર્માના નામથી 4 લાખ રૂપિયા ઊપડી ગયા. જે રીતે ઓફિસ બોય કિશન બથવારના નામથી ભવાની એન્ટરપ્રાઈઝ કંપની ખોલી તે જ રીતે દીપક શર્માના નામથી સરસ્વતી એન્ટરપ્રાઈઝ નામની કંપની ખોલી. તેના નામથી લાઠી યાર્ડમાં દુકાન પણ ખોલી. આવા બે- ત્રણ વ્યક્તિ જ અમારા ધ્યાનમાં આવ્યા, બની શકે કે યાર્ડના નકલી લાયસન્સ મેળવીને કાળાં નાણાંની હેરાફેરીના બીજા કૌભાંડ પણ હોય. બ્લેકના પૈસા વ્હાઈટમાં... મહેશ દેસાઈના નામે સૌથી વધારે ચેક ઈશ્યૂ થયા ધનલક્ષ્મી બેન્કની એન્ટ્રીમાં 82 વખત ચેકની એન્ટ્રી છે મહેશ દેસાઈના નામની. અલગ અલગ લોકોએ રોકડા જમા કરાવ્યા પણ ચેક મહેશ દેસાઈના નામના ફાટ્યા. એટલે વ્હાઈટ થઈને મહેશ દેસાઈના ખાતામાં ગયા. બધી રકમ તેના ખાતમાં નથી ગઈ પણ ચેકથી અલગ અલગ ખાતામાં ગઈ છે. મહેશ દેસાઈના નામે પહેલો ચેક 30 માર્ચ 2024એ અપાયો હતો. એ પછી મસમોટી રકમના ચેક મહેશ દેસાઈના નામે ઈશ્યૂ થયા છે. 18 મે 2024ના દિવસે 1 કરોડની રકમનો ચેક ઈશ્યૂ થયો. 25 જૂન 2024એ 1 કરોડ 25 લાખનો ચેક ઈશ્યૂ થયો. એ પછી 5 વખત 90 લાખ, 6 વખત 95 લાખ, અનેક વખત 80, 70, 62, 60 લાખના ચેક ઈશ્યૂ થયા. 25 લાખના ચેક તો 20 વાર ઈશ્યૂ થયા. ટૂંકમાં રોકડા જમા થયા તેને ચેકમાં વટાવી વ્હાઈટ બનાવી લેવાતા હતા. ઈન્કમટેક્સ વિભાગ આ તમામ એન્ટ્રીઓની બારીક તપાસ કરી રહી છે.
પૃથ્વી અને સૂર્યની વચ્ચે લેગ્રેન્જ પોઇન્ટ 1 (L-1) પરથી આદિત્ય L1એ સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરીને એવો ડેટા આપ્યો છે જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. છેલ્લા 4 દાયકાથી એવું મનાતું હતું કે સૂર્યમાંથી આવતા ઊર્જા કણો દરેક દિશામાંથી સમાન રીતે આવે છે. દુનિયાએ તેને પુરાવા વગરનો સિદ્ધાંત માની લીધો હતો પણ આદિત્ય L1એ પહેલીવાર તેનો પુરાવો આપ્યો છે અને તેની પુષ્ટિ કરી છે. જેમાં અમદાવાદમાં બનેલા પેલોડે મહત્વની ભૂમિકા ભજવી છે. દિવ્ય ભાસ્કરે PRLના પ્રોફેસર અને વૈજ્ઞાનિક દિવ્યેન્દુ ચક્રવર્તી સાથે ખાસ વાતચીત કરીને આ વિશે વધુ માહિતી મેળવી હતી. વિજ્ઞાનની ભાષામાં વપરાતા શબ્દો ઘણીવાર આપણને ભારે ભરખમ લાગે. તેનો અર્થ સમજવો મુશ્કેલ થઇ જાય માટે અહીં સૌથી પહેલાં કેટલાક વૈજ્ઞાનિક શબ્દોની સરળ ભાષામાં સમજ આપી છે. આદિત્ય L-1નો ડેટા કેમ જરૂરી છે?આદિત્ય L-1 સૂર્યનું વર્તન સમજવાનું કામ કરે છે. સૂર્યની જ્વાળા અને સૂર્ય પર આવતાં તોફાન પૃથ્વીને કેવી રીતે અસર કરશે? તે ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થશે? સૂર્ય પવનમાં કયા પદાર્થો હશે? સૂર્ય પવનનું વર્તન કેવું હશે? સૂર્ય તોફાન જો પૃથ્વી તરફ આવ્યું તો તેની કેટલી અસર થશે? આ બધા સવાલોના જવાબ માટે આદિત્ય L1 ના ડેટાની જરુર પડે છે. આદિત્ય L1 અત્યારે સૌર તોફાનના એવા ડેટા આપી રહ્યું છે જેનાથી તકેદારી લઇ શકાય છે. આવો ડેટા ભારતમાં પહેલીવાર મળી રહ્યો છે. આ ડેટાથી જાણી શકાય છે કે સૂર્ય વિસ્ફોટ આપણી પૃથ્વીના સેટેલાઇટ્સ, GPS અને પાવર ગ્રીડને પ્રભાવિત કરે છે કે નહીં? આદિત્ય L1 સાથે નીચે પ્રમાણેના 7 પેલોડ્સ મોકલાયા હતા. આ પેલોડ્સનું કામ શું હતું તે જાણો. પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રવર્તીએ આ પેલોડ્સે આપેલા ડેટાની માહિતી આપી હતી. સૂર્યમાંથી 2 પ્રકારના કણો નીકળે છેતેઓ કહે છે કે,ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી (PRL) એ આદિત્ય L1માં આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ(ASPEX) નામનું એક પેલોડ મૂક્યું છે. જે સૂર્યના પવનોમાં આવી રહેલા કણોની એનર્જી, સ્પીડ, તાપમાન, ઘનતા માપે છે અને તેનો અભ્યાસ કરે છે. અમે લાંબાગાળે આ કણો અને તેની અસરો અંગે પહેલેથી આગાહી કરી શકીએ એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. 'સૂર્યમાંથી નીકળતા કણો બે પ્રકારના હોય છે. એક તો એવા કણ હોય છે કે જે બંદૂકની ગોળી કરતાં પણ 300 થી 400 ઘણી ઝડપે આવે છે. આવા કણો સૂર્યની સપાટી પરના ચૂંબકીય ક્ષેત્રને ચીરીને આવે છે.' 'જ્યારે બીજા પ્રકારના કણો સામાન્ય હોય છે. જે ધીમી ઝડપે આવે છે અને પોતાની સાથે ચૂંબકીય ક્ષેત્ર પણ લઇને આવે છે. આદિત્ય L1 આ બન્ને પ્રકારના કણોને સમજવાનો પ્રયાસ કરે છે. જેથી તેની દિશા, ઝડપ, ઊર્જા અને પૃથ્વી પર શું પ્રભાવ પડે છે તે જાણી શકાય.' 'સૂર્યમાં નીચી, મધ્યમ અને અતિ ઉચ્ચ ઊર્જાવાળા વિવિધ કણો બને છે. મધ્યમ ઊર્જાના કણો નીચી ઊર્જાથી બને છે અને અત્યંત ઉચ્ચ ઊર્જાના કણો મધ્યમ ઊર્જાથી બને છે, આ રીતે તેમની ઊર્જા સતત વધતી જાય છે. અમે મધ્યમ અને ઉચ્ચ ઊર્જાના કણોનું વિશ્લેષણ કર્યું હતું.' 40 વર્ષ જૂના સિદ્ધાંતના પુરાવા આપ્યા'વિશ્લેષણમાં જાણવા મળ્યું કે જ્યારે સૂર્ય શાંત હોય ત્યારે L1 બિંદુએ દરેક દિશાથી આવતા મધ્યમ ઊર્જાવાળા કણો દરેક દિશામાં એક સમાન (દિશાત્મક રીતે સમાન) જોવા મળ્યા હતા.' 'આ માહિતી ખૂબ મહત્વની છે કેમ કે મધ્યમ ઊર્જાવાળા કણોથી બનેલા ઉચ્ચ ઊર્જાવાળા કણો સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે અથવા અવકાશયાત્રીઓ માટે જોખમ ઊભું કરી શકે છે.' 'દિશાત્મક સમાનતાને અત્યાર સુધી ફક્ત સિદ્ધાંત રૂપે માનવામાં આવતો વિચાર હતો પણ આદિત્ય L1એ પહેલીવાર તેનો પ્રાયોગિક પુરાવો આપ્યો છે. જે મહત્વની સિદ્ધિ છે એટલે કે પાર્કર ટ્રાન્સપોર્ટ ઇક્વેશન લગભગ 40 વર્ષથી થિયેરેટિકલી સોલ્વ કરેલું હતું પરંતુ PRLએ પ્રયોગ કરીને પહેલી વખત તેને પ્રેક્ટિકલી સાચું પાડીને તેની પુષ્ટિ પણ કરી.' 'સૂર્યની જ્વાળા અથવા કોરોનલ માસ ઇજેક્શન (CME) દરમિયાન દિશાત્મક સમાનતા બદલાઇ શકે છે. ASPEX ટીમ હાલમાં તેના બીજા તબક્કા પર કામ કરી રહી છે.' અન્ય એક પેલોડ VELC ને IIA, બેંગાલુરૂએ બનાવ્યું છે. જેના દ્વારા VELC એ સૂર્યની સપાટી નજીક જ જન્મતા CMEનું વિઝીબલ વેવલેન્થ (દેખાઇ શકે તેવી તરંગલંબાઇ)માં પ્રથમવાર નિરીક્ષણ કર્યું હતું. પહેલીવાર સૂર્યના તમામ સ્તરોની ડિસ્ક સાથેની તસવીર મળીઅન્ય પેલોડ SUITને IUCAA-પુણેએ બનાવ્યું છે. SUITથી પારજાંબલી તરંગલંબાઇમાં 11 જેટલા ફિલ્ટરનો ઉપયોગ કરી પ્રથમવાર સૂર્યના આ તમામ સ્તરોની સંપૂર્ણ ડિસ્ક સાથે તસવીર મળી છે. જેમાં જોવા મળ્યું કે ફ્લેરના કેન્દ્ર સૂર્યની સપાટીની એકદમ નજીક છે અને તેને અનુરૂપ કોરોનાના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. પ્રો. ચક્રવર્તી આદિત્ય L1ના પેલોડ્સને ઘણી રીતે અનોખા ગણાવે છે. તેઓ કહે છે કે, આદિત્ય L1 એક ઓબ્ઝર્વેટરી ક્લાસ મિશન છે કારણ કે અમે સૂર્યના બહુવિધ તરંગ લંબાઇ કિરણો, વિવિધ ઊર્જાના કણો અને ચૂંબકીય ક્ષેત્રને એક જ સેટેલાઇટથી માપી રહ્યાં છીએ. એવું કહી શકાય કે જાણે પૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગશાળા જ અવકાશમાં મોકલી હોય. આદિત્ય L1ના ડેટા ફક્ત ભારતના જ નહીં પરંતુ વિશ્વના વૈજ્ઞાનિકોને પણ ઉપયોગી થઇ રહ્યા છે. પ્રો. ચક્રવર્તીએ કહ્યું, વિશ્વના વૈજ્ઞાનિકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યાં છે. ASPEX ડેટાને ભારતના અને વિદેશના વૈજ્ઞાનિક ખૂબ ડાઉનલોડ કરીને ઉપયોગ કરી રહ્યાં છે. ડેટા સૌથી વધુ ડાઉનલોડ થયો'ભારતમાં એવું પહેલીવાર બન્યું છે કે સૂર્ય પવનના ગુણધર્મોના વેગ, ઘનતા, તાપમાન જેવા ડેટા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે મુક્ત રીતે આપવામાં આવ્યા હોય. જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ઇસરોની સાઇટ પર આદિત્ય-L1ના તમામ ડેટામાંથી સૌથી વધુ ડાઉનલોડ ASPEXના ડેટાનું થયું છે.' સૌર તોફાનથી શું નુકસાન થઇ શકે?સૌર તોફાનના કણોથી કેવું નુકસાન થઇ શકે તેના વિશે તેમણે કહ્યું, પૃથ્વીની આસપાસ એક ચૂંબકીય આવરણ (મેગ્નેટિક ફિલ્ડ) હોય છે. જે સૌર તોફાનના કણોને પૃથ્વીની અંદર આવવા નથી દેતું પરંતુ સૂર્ય બહુ એક્ટિવ હોય ત્યારે ઘણી વખત કણો સૂર્યના મેગ્નેટિક ફિલ્ડ સાથે લઇને આવે છે.જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડને તોડી નાખે છે. જો આવી કોઇ મોટી ઘટનાની જાણ પહેલેથી ન હોય તો GPS, નાવિક અને કોમ્યુનિકેશન સહિતના બીજા ઘણા સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે.' ....તો દુનિયા ઠપ્પ થઇ જાય'જો સેટેલાઇટ ડેમેજ થાય તો ઘણી વ્યવસ્થાઓ અટકી પડે. ડેમેજ થયેલા સેટેલાઇટના બદલે બીજો સેટેલાઇટ મોકલવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય. જેથી આદિત્ય L1 મિશન ફક્ત સાયન્સ માટે જ નહીં પરંતુ સામાન્ય જીવનમાં પ્રેક્ટિકલ કામો માટે પણ ઘણું મહત્વનું છે. લાંબા ગાળે અમે સૂરજના વર્તનને અને ત્યાં શું થઇ રહ્યું છે તેમજ તેની શું અસર થઇ શકે એ સમજવા માંગીએ છીએ.' 'આદિત્ય L1એ મોકલેલી માહિતી સાચી છે કે નહીં તેની પરખ કરવી જરૂરી હતી. જેની પ્રક્રિયા લગભગ 6 મહિના સુધી ચાલી હતી. આ કામ ગયા વર્ષે મે-જૂન મહિના દરમિયાન પૂર્ણ થયું ત્યારબાદ તમામ માહિતી સૌ માટે ખુલ્લી મૂકાઇ હતી.' સૂર્ય પર સતત ધડાકા થતાં રહેતાં હોય છે. આ વિશે તેમણે કહ્યું કે, એમ સમજો કે સૂર્ય પર સતત મિલિયન્સ એટમ બોમ્બ ફૂટતા રહે છે. અમૂક ધડાકા એટલા મોટા હોય છે કે સૂર્યના કણોને અંતરિક્ષમાં ફેલાવી દે છે. જેને સોલાર ફ્લેર અને કોરોનલ માસ ઇજેક્શન કહેવાય છે. 'ઘણા વિસ્ફોટ પૃથ્વીની દિશામાં થાય છે અને અતિ વેગથી સૂર્ય કણોને ધરતી તરફ મોકલે છે. સૂર્યની સક્રિયતાની 11 વર્ષની સાયકલ હોય છે. સૂર્ય 5.5 વર્ષ ખૂબ જ એક્ટિવ રહે છે. એ દરમિયાન દર મહિને એક બે સોલાર ફલેર જોવા મળે છે પછી ફરી સૂર્ય 5.5 વર્ષ માટે શાંત થઇ જાય છે.' આદિત્ય L1ની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષની છે. તેની હેલ્થ, ફ્યૂલ વગેરે ફેક્ટર્સને ધ્યાને લઇએ તો ઉંમર હજુ વધી શકે છે. આદિત્ય L1ની ઉંમર પૂરી થઇ જશે પછી તેને સૂર્ય તરફ ધક્કો આપીને છોડી મૂકાશે. જેથી તે સૂર્ય તરફ જાય અને તેમાં જ નાશ પામે. વિનસ ઓર્બિટર મિશનતેમણે કહ્યું કે, વર્ષ 2028 આસપાસ ઇસરોનું એક વિનસ ઓર્બિટર મિશન લોન્ચ થવાનું છે. જેમાં PRLનું એક ઇન્સ્ટ્રુમેન્ટ સામેલ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ વિનસની કક્ષામાં આવતા ઊર્જાવાળા કણો અને તે વિનસના વાતાવરણમાં શું ફેરફાર કરે છે તેનું માપ કાઢશે. 'આ મિશન ખૂબ પડકારજનક છે.યાનને શુક્ર સુધી પહોંચવામાં 117 દિવસ લાગશે. શુક્ર સૂર્યથી નજીક છે તેથી આ યાન પરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્યારેય ન અનુભવ્યું હોય એટલા નજીક પહોંચશે અને તાપમાન અનુભવશે.' 'આગામી ચંન્દ્રયાન મિશનમાં પણ PRL સક્રિય ભાગીદાર છે. તે સિવાય PRLખગોળ વિજ્ઞાન અને સૂર્ય મંડળની બહારના ગ્રહો પર સંશોધનો માટેના મિશનમાં પણ ભાગ લઇ રહ્યું છે.' DISHA મિશન પૃથ્વીના ઉચ્ચ વાયુમંડળ પર સૂર્ય બદલાવની અસર માપવાનું મિશન છે. આ મિશનમાં 2 સેટલાઇટને પૃથ્વીથી 400 કિલોમટીરથી 450 કિલોમીટરની કક્ષામાં મૂકાશે. એક સેટોલાઇટ ધ્રુવીય દિશામાં પરિક્રમા કરશે, જ્યારે બીજો સેટેલાઇટ ધ્રુવીય દિશા અને વિષુવૃતિય દિશાની વચ્ચેની કક્ષામાં ભ્રમણ કરશે. DISHA મિશનથી સ્પેસ વેધરની પૃથ્વી પર થતી અસરનો અભ્યાસ કરવામાં મદદ મળશે. DISHA અને આદિત્ય L1 મિશનના ડેટાના એકસાથે ઉપયોગથી સ્પેસ વેધરની પૃથ્વી પર અસર અને કારણના સંબંધનો સીધો અભ્યાસ શક્ય બનશે. ધીમે ધીમે અમે એ દિશામાં આગળ વધી રહ્યાં છીએ કે સૂર્ય પર થતાં ફેરફારો જોઇને કહી શકીએ કે તેની પૃથ્વી પર શું અસર થશે. DISHA મિશનને પણ 2028માં લોન્ચ કરવાની યોજના બની રહી છે.
અમદાવાદની શાન એટલે સાબરમતી રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટનો વિસ્તાર થઈ રહ્યો છે. હાલ અહીં ફેઝ-2નું પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. નવો રિવરફ્રન્ટ કેવો હશે? કયાં-કયાં આકર્ષણો હશે? તેનાથી અમદાવાદીઓની લાઇફમાં શું ચેન્જ આવશે? આ બધાની સાથે સાથે દિવ્ય ભાસ્કર આપને સાબરમતીનો તમે ક્યારેય ના જોયો હોય એવો ડ્રોન વ્યૂ પણ બતાવશે. શનિવારે સવારે 6 વાગ્યાથી સ્પેશિયલ સિરીઝ 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં. રિવરફ્રન્ટ ફેઝ-2ની એક ઝલક જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
‘ચાના કપ ધોવા માટે દરેક ટપરીએ એક માણસ રાખેલો હોય છે. હવે એ સરખા ધોવે ન ધોવે, એટલે ચોખ્ખાઈનો પ્રશ્ન રહે. વળી એકના એક પાણીમાં સેંકડો કપ ધોવાયા કરે, એમાં કપ શું સાફ થવાના? એની સામે અમારા મશીનનો ઉપયોગ બહુ જ સહેલો છે. તમારા એઠા ચાના કપને એક ટ્રેમાં મૂકી મશીનમાં મૂકો અને ‘ON’નું બટન દબાવો. બસ તમારું કામ થઈ ગયું. મશીન તમને કપ ધોઈ આપશે. ફક્ત 30 સેકન્ડમાં 30-40 કપ એકદમ ચકાચક થઇ જશે! એ પણ માત્ર પાણીથી નહીં, દરેક કપ અંદર અને બહારથી ડિટર્જન્ટથી સાફ થશે.’ એઠાં વાસણો સાફ કરી આપતા ડિશ વૉશર વિશે તમે સાંભળ્યું હશે, પણ ચાના કપ ધોવાના મશીન વિશે સાંભળ્યું છે? ચાની ટપરીએ સૌથી મોટી સમસ્યા હોય છે, કપની અને કપના હાઇજિનની. જો કાગળના કપ રાખે તો ખર્ચો વધુ અને પેટમાં માઇક્રોપ્લાસ્ટિક જવાનો ભય, ને કાચના કપ રાખે તો યોગ્ય રીતે સાફ થયા હશે કે કેમ તેનો પ્રશ્ન. પરંતુ આ વાતનું સોલ્યુશન લાવતું મશીન બનાવી દીધું છે, બનાસકાંઠાના ગામડામાં રહેતા બે યુવાનોએ. જે મશીનમાં એક જ મિનિટમાં ફક્ત અડધા લિટર પાણીથી 30થી 40 કપ એકદમ સ્વચ્છ થઈ જાય છે. એટલું જ નહીં, બંને ભાઈઓ પોતાની ‘પ્રહંતમ’ કંપનીના આ મશીનને ‘શાર્ક ટેન્ક’માં પણ લઈ ગયા હતા, જ્યાં જ્યુરીને ઇન્ટરેસ્ટ પડતાં બધા જ શાર્કનું ઇન્વેસ્ટમેન્ટ પણ મળ્યું હતું. તો ચલો, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં આ બંને ભાઈઓ સાથે વાત કરીએ અને જાણીએ આ યુનિક મશીન વિશે... ‘ભણવામાં ઓછો ને ભાંગફોડમાં વધારે રસ હતો!’ ‘મૂળ અમે ધાનેરાના ભાટીબના.’ કો-ફાઉન્ડર ધવલ નાઈએ વાતની શરૂઆત કરી, ‘મેં અને મારા મોટાભાઈ જયેશભાઈએ મળીને આ કંપનીની શરૂઆત કરી. ઘરની વાત કરું તો પપ્પા LICમાં જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. નાનપણથી જ ભણવામાં વધુ રસ નહીં, પણ વસ્તુઓની ભાંગતોડ કરવામાં વધારે રસ એટલે 10 પછી મિકેનિકલમાં ડિપ્લોમા કર્યું. ત્યારે બધું શિખતા હતા એમાં અમને વિચાર આવ્યો કે આવું કશુંક બનાવવું જોઈએ. એટલે મેં મારા પ્રોફેસર બ્રિજેશ પટેલને વાત કરી. સરે સપોર્ટ કર્યો ને સાથે સરકાર તરફથી પણ સપોર્ટ મળ્યો. મારા ભાઈ જયેશભાઈ કોમર્સ ફિલ્ડથી અને હું મિકેનિકલથી, એટલે બંનેએ મળી મસ્ત બિઝનેસ ચાલુ કર્યો.’ હજારો કપ ચા, પોલ્યુશન અને ગંદકીનો ડબલ પ્રોબ્લેમ આ પર્ટિક્યુલર મશીનનો વિચાર કેવી રીતે આવ્યો? ધવલ કહે, ‘અમારા બંને ભાઈઓનો પહેલેથી જ પ્લાન હતો કે અમે મોટા થઈને બિઝનેસ જ કરીશું. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે પર્યાવરણ ઉપર થોડા પ્રોજેક્ટ કર્યા તો ત્યારે ધ્યાને આવ્યું કે, સૌથી વધુ કચરો તો આ પેપરકપ જ કરે છે. રસ્તા પરનો કોઈ પણ કચરો જોઈએ તો એમાં પેપર કપ અને પ્લાસ્ટિકના કપ જ હોય છે. અમને સવાલ થયો કે આ કચરાનું રિસાઈકલિંગ કેમ નથી થતું? સામે જે લોકો કાચના કપ રાખે છે, એમને હાઇજિન અને ધોવાનો પ્રશ્ન નડે છે. લોકોએ જોયું જ હશે કે એકના એક ડહોળા-ગંદા પાણીમાં સેંકડો વખત કપ ધોવાતા હોય છે. એ બધું જોઇને અમને થયું કે જો આ કપ વોશિંગ કરવાનું કોઈ સોલ્યુશન મળી જાય તો બંને પ્રશ્નો સોલ્વ થઈ જાય. અમે રિસર્ચ ચાલુ કર્યું.’ પછી આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી? ધવલ કહે, ‘બિઝનેસ માટે તો અમારી પાસે પૈસા હતા જ નહિ. એ ટાઈમે અમારા ધ્યાને સરકારની એક પોલિસી આવી, SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી). જે વર્ષે મેં એડમિશન લીધું એ જ વર્ષે અમારી કોલેજમાં એમનો સેમિનાર થયો અને અમને એ પોલિસી વિશે ખબર પડી. અમને તો જોઈતું હતું ને મળી ગયું. અમે અમારા સરને આગળ વાત કરી તો, અમને એક મેન્ટર ફાળવવામાં આવ્યા. એ મેન્ટર અને સરે મળીને અમને હેલ્પ કરી, સબસીડી મળી અને અમે બિઝનેસની શરૂઆત કરી.’ શાર્ક ટેન્કમાં પહોંચ્યા ત્યાં સુધી કોઇને વાત જ ન કરી! પણ કોલેજમાં ભણતાં બાળકો માટે બિઝનેસની આ શરૂઆત એટલી સહેલી નહોતી. ધવલ કહે, ‘એ સરકારી સ્કીમથી અમને લાખ રૂપિયાની સહાય તો મળી ગઈ પણ અનુભવની ખોટ હતી. અમે તો હજુ ભણતા હતા એટલે લાખ રૂપિયા તો બહુ મોટી રકમ લાગી. સામે બિઝનેસ શરૂઆત કરી, પણ જોબ કે કશું કર્યું નહોતું, એટલે કામ કઇ રીતે કરવું એનો કોઈ અનુભવ નહોતો. અમે તો વિદ્યાર્થી અને સામે કસ્ટમરને હેન્ડલ કરવા અઘરા થઈ પડ્યા. કેમ કે કોઈ ઇશ્યૂ આવે તો એ કસ્ટમર પાસે જઈ સોલ્વ કેમ કરવા એ અમને નહોતું આવડતું. એમનું થોડું સાંભળવું પડે. સામે એ લોકો પણ ખોટા નહોતા. પૈસા આપીને કોઈ વસ્તુ લીધી હોય અને એ ચાલે નહીં અથવા રિઝલ્ટ ન આપે તો કોઈ પણ બોલવાનું. એમાં ય ઘણા તો પૈસા પાછા માગે, પણ આપણી પાસે તો પૈસા હતા જ નહિ, કેમ કે એ એક મશીન બનાવવા પણ પૈસા જોડી જોડી મહેનત કરી હોય, એમાં હવે પાછા કેમ આપવા? એ બધી પરિસ્થિતિ શીખતા ઘણો સમય લાગ્યો.’ ફેમિલીમાં જ્યારે વાત કરી કે, હું આ રીતે ચાના કપ ધોવાનાં મશીન બનાવીશ, ત્યારે શું રિએક્શન હતા? ધવલ કહે, ‘શરૂઆતમાં તો અમે કોઈને વાત જ નહોતી કરી. જ્યાં સુધી શાર્ક ટેન્કમાં નહોતા પહોંચ્યા ત્યાં સુધી મારા મમ્મી-પપ્પા સિવાય કોઈને જ નહોતી ખબર કે અમે શું કરીએ છીએ. બાકી બધાને એમ જ હતું કે અમે ભણીએ જ છીએ. પણ જેવા શાર્ક ટેન્કમાં આવી ગયા એટલે પછી તો કોઈ કશું બોલી શકે એમ જ નહોતું. પછી તો બધાના બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ જ હતા.’ કંપનીના નામમાં જ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી છે બાય ધ વે, કેવું રહ્યું શાર્ક ટેન્કમાં? ધવલ ખુશ થઈને કહે, ‘શાર્ક ટેન્કની જ્યારે પહેલી સિઝન બહાર પડી ત્યારે જ લાગ્યું હતું કે આપણે પણ એપ્લાય કરવું જોઈએ. ચાન્સ લાગે એવું લાગતું નહોતું પણ છતાં ફોર્મ ભરી દીધું અને પ્રમુખ સ્વામીની કૃપાથી વારો આવી ગયો. અને અંદર તો ભુક્કા બોલાવી દીધા. અંદર શાર્ક ટેન્કમાં બધા જ શાર્ક અમારી સ્ટોરી સાંભળી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. ગામડામાંથી આટલી નાની ઉંમરનાં બે બાળકો અને આટલો સારો બિઝનેસ, જેના કારણે બધા જ શાર્કે મળી અમારા બિઝનેસમાં ₹30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. શાર્ક ટેન્કનો ફાયદો એ થયો કે, અમે અમે જે અમારા ગામડામાં ઘરે બેસી કામ કરતા હતા એના બદલે અમારો એક ધંધો ઊભો થયો અને અમે અમદાવાદ આવીને સારી રીતે પ્રોપર બિઝનેસ કરતા થઈ ગયા. સામે શોના કારણે લોકો અમને ઓળખતા પણ થયા ને સારી એવી પોપ્યુલારિટી મળી.’ પણ આ ‘પ્રહંતમ’ નામ કેવી રીતે પાડ્યું? ધવલ ધાર્મિક વાત કરતાં કહે, ‘2019માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે જ સ્વામીજીને પગે લાગી નામ રાખ્યું હતું. અમે પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજના ભક્ત છીએ. જે કંઈ પણ છીએ એ એમના કારણે છીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના પહેલા અક્ષરનો ‘પ્ર’ અને અત્યારના BAPS સંસ્થાના મહંત સ્વામીના નામથી ‘હંતમ’ મિક્સ કરી ‘પ્રહંતમ’ નામ રાખ્યું છે.’ કોલેજના સાહેબથી મોરેશિયસના CA સુધીના લોકોએ રોકાણ કર્યું શરૂઆતમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું? ધવલ કોલેજના દિવસોથી વાત કરતાં કહે, ‘કોલેજના મારા પ્રોફેસરે જ સૌથી પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જે બ્રિજેશ સરની વાત કરી એમણે જ ₹10 હજાર આપી શરૂઆત કરાવી હતી. એમને ખબર જ હતી કે આ પૈસા પાછા આવે એની કોઈ ગેરંટી નથી, છતાં એમણે અમારા પર વિશ્વાસ બતાવી ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હતું. એ પછી બીજું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું એક લાખનું! એમાં એવું થયું કે, અમે ઇન્વેસ્ટમેન્ટ માટે ઉત્તર ગુજરાતની ઘણી કોલેજોમાં ફર્યા અને બધા સાહેબોને અમારો આઇડિયા પિચ કર્યો. ત્યારે તો ઇન્વેસ્ટમેન્ટ જેવો શબ્દ પણ ખબર નહોતી. અમને એમ કે સાહેબોને ગમશે અને એ લોકો થોડા થોડા પૈસા આપશે તો આપણી ગાડી દોડશે. અમને એમ કે એક લાખ મળશે, તો એમાંથી થોડાં મશીન બનાવી બે લાખમાં વેચી દઇશું ને એક લાખ રૂપિયા સાહેબોને પાછા આપી દઇશું. લાખ રૂપિયા તો ભેગા થઈ ગયા, પણ ઊલ્ટાનું બધુ નુકસાન ગયું. અને એ પછી શાર્ક ટેન્કથી ₹30 લાખ મળ્યા. એ સિવાય મોરિશિયસથી પણ એક CAએ ₹30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું.’ 30 સેકન્ડમાં 30-40 કપ એકદમ ચકાચક આ મશીન કામ કેવી રીતે કરે? ધવલ કહે, ‘ચાના કપ ધોવા માટે દરેક ટપરીએ એક માણસ રાખેલો હોય છે. હવે એ સરખા ધોવે ન ધોવે, એટલે ચોખ્ખાઈનો પ્રશ્ન રહે. વળી એકના એક પાણીમાં સેંકડો કપ ધોવાયા કરે, એમાં કપ શું સાફ થવાના? એની સામે અમારા મશીનનો ઉપયોગ બહુ જ સહેલો છે. તમારા એઠા ચાના કપને એક ટ્રેમાં મૂકી મશીનમાં મૂકો અને ‘ON’નું બટન દબાવો. બસ તમારું કામ થઈ ગયું. મશીન તમને કપ ધોઈ આપશે. ફક્ત 30 સેકન્ડમાં 30-40 કપ એકદમ ચકાચક થઇ જશે! એ પણ માત્ર પાણીથી નહીં, દરેક કપ અંદર અને બહારથી ડિટર્જન્ટથી સાફ થશે.’ ‘એક વખતમાં કેટલા કપ ધોવાય અને કેટલું પાણી જોઈએ?’ બહાર ટપરીએ એક દિવસનું સેંકડો લિટર પાણી વપરાતું હશે, એની સામે અમારે ત્યાં મેક્સિમમ ફક્ત દોઢથી બે લિટર પાણીમાં 30-40 કપ ધોવાઈ જાય છે.’ 17 રાજ્યોમાં વેચાણ અને વર્ષે એક કરોડનું ટર્નઓવર! કેટલાં મશીન વેચાયાં હશે અત્યાર સુધીમાં? બિઝનેસમેન ધવલ કહે, ‘અમારાં મશીનની અલગ અલગ રેન્જ છે, જેમાં ₹30 હજારથી લઈ એક લાખ સુધીનાં મશીન છે. બધા પ્રકારનાં મશીન મળી વર્ષે લગભગ 100થી વધુ મશીનો વેચાય છે. જેમાં સાઉથની સૌથી મોટી ચા ફ્રેન્ચાઇઝી ‘યેવલે અમૃતુલ્ય’ જેવા ઘણા મોટા ક્લાયન્ટ પણ છે. એમની મોટા ભાગની આઉટલેટ પર અમારાં જ મશીન છે. સાઉથની આવી બીજી બે-ત્રણ ફ્રેન્ચાઇઝી અમારી કસ્ટમર છે. ઇવન IIT ગાંધીનગરમાં પણ અમારાં મશીન છે. એ સિવાય ‘Bonne Bouche’ જેવી મોટી બ્રાન્ડ પણ અમારાં મશીન યુઝ કરે છે.’ અત્યારે કેવો ચાલે છે બિઝનેસ? ધવલ કહે, ‘અત્યારે તો પૂરા દેશમાં ધૂમ મચાવી રહ્યા છીએ. અમારાં સૌથી વધુ મશીન સાઉથ ઈન્ડિયામાં વેચાય છે, જે અમારું સૌથી મોટું માર્કેટ છે. આખા દેશનાં 17 રાજ્યોમાં 500થી વધુ મશીન વેચ્યાં છે. બધું થઈ વર્ષે એકાદ કરોડ જેટલું ટર્નઓવર થઈ જાય છે.’ ‘બૂંદ બૂંદથી ઇન્વેસ્ટમેન્ટનો સાગર ભરી રહ્યા છીએ’ શરૂઆતમાં નુકસાન ગયું તો એ મેનેજ કેવી રીતે કરતાં? નાની ઉંમરે મોટા બિઝનેસમેન બનેલા ધવલ કહે, ‘અઘરું થઈ પડતું. પણ કટકે કટકે જ ગાડી ચાલતી. એક-બે મશીનમાં નુકસાન જાય તો સામે જે થોડાં મશીનનું સારું વેચાણ થાય તો એમાંથી કવર થઈ જતું. પ્લસ, સરકાર તરફથી થોડી ઘણી સહાય મળી રહેતી. અલગ અલગ પિચ કરવા જતા તો એ લોકો થોડી થોડી સહાય કરતા. એમાં ઘણી જગ્યાએ કોઈ ઇવેન્ટમાં પ્રાઈઝિંગ હોય તો ત્યાં પર્ફોર્મ કરતાં થોડી આર્થિક મદદ મળી રહેતી. જ્યાંથી પણ આર્થિક હેલ્પ મળી શકે એ બધે જ ધ્યાન રાખતા. જેમ કે શાર્ક ટેન્કવાળા અનુપમ મિત્તલ નેશનલ લેવલે એક પ્રોજેક્ટ ચલાવે છે, જેમાં પ્રોબ્લેમ સોલ્યુશન સ્ટાર્ટઅપ હોય તો એમાં હું ઇન્વેસ્ટ કરીશ. તો એમાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું હતું.’ ‘અમે અલ્ટ્રાસોનિક વોશિંગવાળાં મશીન બનાવી રહ્યાં છીએ’ ક્યારેય લાગ્યું હતું કે, જો આવું મશીન અને તેનું સ્ટાર્ટઅપ નહિ ચાલે તો શું કરીશું? ધવલ કહે, ‘શરૂઆતમાં જ્યારે બનાવ્યું ત્યારે એ પ્રોબ્લેમ તો હતો કે, આવું મશીન કોઈ ખરીદશે તો ખરા ને? શરૂઆતમાં સેલિંગ પણ નહોતું થતું. પણ પછી જ્યારે અમે એક વિજ્ઞાન મેળામાં ગયા હતા, ત્યાં એક યુટ્યુબરે અમારા મશીનનો વીડિયો બનાવ્યો અને એ વાઇરલ થઈ ગયો. એ પછી તો કોલ આવવાના શરૂ થઈ ગયા ને થોડાં મશીન પણ વેચાયાં. પછી કોન્ફિડન્સ આવી ગયો કે, આપણે જે કંઈ પણ બનાવ્યું છે, એ લોકો માટે ઉપયોગી તો છે જ.’ આગળ ફ્યુચરનો શું પ્લાન છે? ધવલ કહે, ‘અત્યારે તો અમારા મશીનમાં ફક્ત કાચના જ ગ્લાસ ધોવાય છે. પણ આગળ હજુ અમે બીજાં મશીન બનાવી રહ્યા છીએ. જેમાં અમે અલ્ટ્રાસોનિક વોશિંગ થઈ શકે એવું મશીન અને મોટા કોમર્શિયલ ડિશ વૉશર બનાવવા પર કામ કરી રહ્યા છીએ. અત્યારે ઈન્ડિયામાં એક પણ એવી કંપની નથી જે ગ્લાસ વૉશર કે ડિશ વૉશર બનાવતી હોય. અમે એ બનાવવા પર કામ કરી રહ્યા છીએ.’ ‘આજે કંઈ છીએ તે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજને કારણે જ છીએ’ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ધવલ આગળ વાત કરતાં કહે, ‘પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદના કારણે જ આજે અમે અહીં છીએ. જ્યારે જ્યારે માનસિક રીતે થાકી જઈએ ત્યારે પણ અમે એમનો જ સહારો લઈએ છીએ. અમે આજે જે કંઈ પણ છીએ એમાં 100% ફાળો અમારા ગુરુદેવ મહંત સ્વામી મહારાજનો જ છે. શરૂઆતમાં જો એમણે કહ્યું હોત કે, આટલી તકલીફ પડે તો રહેવા દ્યો, તો અમે આ ધંધો છોડી જ દીધો હોત અને આજે ક્યાંક જોબ જ કરતા હોત, પણ એમણે જે સપોર્ટ આપ્યો, એના કારણે આજે અહીં છીએ. અમને જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવી છે, ત્યારે અમે મહંત સ્વામીને ઈમેલ પર પત્ર મોકલીએ છીએ અને સ્વામીજી એમનો કિંમતી સમય કાઢી અમને જવાબ પણ આપે છે.’
લોકોને ગંદા પાણી વચ્ચે રહેવાની નોબત:ડ્રેનેજ લાઇનને નુકસાન થતાં કાદરશા નાળમાં ગટરિયા પૂર
કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ગટરીયા પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકાના ડ્રેનેજ વિભાગના જણાવ્યા મુજબ ભટાર પંપીગ સ્ટેશનના વિસ્તૃતિકરણને લઇ લાઇન બંધ કરાતા લો લાઇન કાદરશાની નાળ વિસ્તારમાં ડ્રેનેજના પાણી ઉભરાયા હતા. ગટરના પાણી આસપાસની ગલીઓ તેમજ મકાનોમાં ઘુસી ગયા છે. રસ્તાઓ પર ગંદા પાણી ભરાતા અવરજવર પણ બંધ જેવી થઈ ગઈ છે. ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે. સાથે જ મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરીસ્થાનિકો સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી ઘરમાં કેદ છીએ. મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરી છે. તંત્ર માત્ર મશીનો મૂકીને સંતોષ માને છે, પણ પાણીનો નિકાલ થતો નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને પમ્પિંગ કરી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.
આજે બાર ચૂંટણી:યુવા વકીલોમાં ભારે ઉત્સાહ, મોડી રાત સુધી તોડ-જોડ ચાલી
શુક્રવારના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિશનની ચૂંટણી માટે મતદાન થનાર છે. દર વર્ષના સમય કરતા આ વખતે વોટિંગ અડધો કલાક વહેલું એટલે કે સાડા આઠ વાગ્યેથી જ શરૂ થઈ જશે અને એવો અંદાજ છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી તમામ પરિણામો જાહેર પણ થઈ જશે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રમુખ પદની મુખ્ય રેસ બે ઉમેદવારો વચ્ચે હોય બંનેએ છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવ્યુ હતુ. મોડી રાત સુધી સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા તો તોડ અને જોડની રણનીતિ પણ અમલમાં મૂકાઈ હતી. સૌરાષ્ટ્ર લોબી, મૂળ સુરતીઓ, મહિલાઓ અને મુસ્લિમ વકીલોના મત પોતાની તરફ કરવા માટેના તમામ પ્રયાસો ઉમેદવારોએ કર્યા હતા. પ્રમુખ પદમાં સૌરાષ્ટ્રના વતની એવા એકેય વકીલે દાવેદારી ન કરી હોવાથી બે હજાર મત પૈકી સૌથી વધુ મત કોણ ખેંચી જશે એ જ પ્રમુખ પદની રેસમાં આગળ નિકળી જશે. આથી જ શનિવારની સવાર કોનો ‘ ઉદય ’ થાય અને કોની ‘ ચ્હા ’ નો ટેક્સ વધશે. એ તો સમય જ બતાવશે. સંઘર્ષનું વર્ષ, નવી જગ્યા આ વર્ષે નક્કીઆ વખતનું વર્ષ નવી કોર્ટ બિલ્ડિંગ મુદ્દે નિર્ણયાક રહેશે. સંભવત: હાલની કોર્ટની સામેની મરઘાં કેન્દ્રની જગ્યા આપવામા આવશે અથવા તો નવી કોઈ જગ્યા નક્કી કરવામા આવશે. દિલ્હીમાં પોલ્યુશન લેવલ વધવાને લીધે જે અસર થઈ છે તેના લીધે જીઆવ-બુડિયાની જગ્યા પર હવે કાયમ માટે આમ તો ચોકડી લાગી ગઈ છે પરંતુ જો વકીલો પોલિટિકલ લોબીને સમજાવવામા નિષ્ફળ રહ્યા તો આખરે જીઆવ-બુડિયા પર પણ મંજૂરી મ્હોર લાગી શકે છે. આથી જ નવા પ્રમુખનુ માત્ર હઇશો-હઇશો કરવુ જ નહીં પરંતુ કામ કરીને દેખાડવાની તાકાત નહીં હશે તો તંત્ર જ્યા જગ્યા આપે ત્યા જવુ પડશે.
ધરપકડ:ઓસ્કાર મેનેજમેન્ટના નામે રોકાણ કરાવી 1 હજાર કરોડ પડાવનાર 10 વર્ષે ઝડપાયો
2015માં ઉધનામાં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસના નામે કંપની ખોલી લોકો પાસે રોકાણ કરાવીને દેશભરમાં રૂ.1 હજાર કરોડનું કૌભાંડ કરાયું હતું. આ ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે ઓરિસ્સાના ગંજામથી પકડી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વર્ષ 2015માં ઉધના બસ સ્ટેન્ડ પાસે એમ્યુનીટી બિલ્ડીંગમાં ઓફિસ ખોલીને અલગ અલગ સ્કિમ તથા ડેઇલી સ્કીમ મૂકીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જેમાં વર્ષ પ્રમાણે 10 ટકા, 16 ટકા અને 25 ટકા જેટલું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. બાદમાં પકતી મુદતે પૈસા પરત આવવાનો વારો આવતા ગઠીયોઓ ઓફિસ બંધ કરીને નાસી ગયા હતા. ઉધના પોલીસ સ્ટેશનમાં રૂ.6.85 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. જે આંકડો વધીને રૂ.32 કરોડ સુધી પહોંચ્યું હતું. આ ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતો આરોપી રવિન્દ્રપ્રસાદ પાનુચરણ સ્વાઇ (ઉવ.51, રહેત રાધાકાંટા શેરી ઓલ્ડ બ્રહ્મપુરા, ગંજામ ઓડીસ્સા) પોતાના વતનમાં હોવાની બાતમી મળતા ઉઘના પોલીસની એક ટીમ ઓરિસ્સા થઇ હતી અને રવિન્દ્રને પકડી પાડ્યો હતો. પીઆઇ એસ.એન. દેસાઇએ જણાવ્યું હતુંકે, આરોપી રવિન્દ્રપ્રસાદ ધ ઓસ્કાર મેનેજમેન્ટ કંપનીમાં ગુજરાત બ્રાંચનો ચેરમેન હતો અને 46 જેટલા બ્રાંચો ખોલીને છેતરપિંડી કરી હતી. જેમાં સુરતના ઉધનાની બ્રાંચમાં રોકાણ કરાવીને રૂ.32 કરોડ તથા દક્ષિણ ગુજરાતમાં કુલ 250 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. રવિન્દ્ર પ્રસાદ 3 વર્ષની જેલ કાપી ચૂક્યો છેરવિન્દ્ર પ્રસાદની છેતરપિંડીના ગુનામાં ભુવનેશ્વર પોલીસે ધરપકડ કરી હતી અને તેને સજા થઇ હતી. 3 વર્ષ અને 20 દિવસની સજા કાપ્યા બાદ રવિન્દ્રપ્રસાદ બહાર આવ્યો હતો અને હાલ એક ટેક્ટરની કંપનીમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતો હતો. સાઉથના કલાકારો બ્રાન્ડ એમ્બેસેડર હતાઠગ ટોળકીએ ગુજરાતમાં બ્રાંચ ખોલીને ખાસ કરીને સાઉથ તથા ઓરિસ્સાના લોકોને ટાર્ગેટ કર્યા હતા. જ્યારે લોકોને આકર્ષવા માટે સાઉથના હીરો ઉત્તમ મોહન તથા ઓરિસ્સાના કોમેડિયન પપ્પુ પમ્પમને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા હતા. ગુજરાતમાં આરોપી સામે ચાર ગુના વોન્ટેડ રવિન્દ્ર વિરૂદ્ધ ઉધના પોલીસ ઉપરાંત વડોદરા સયાજીગંજ, સીઆઇડી ક્રાઇમ વડોદરા, સોનગઢ પોલીસમાં અને હાંસોટ પોલીસમાં વોન્ટેડ છે.
CBT મોડમાં NET લેવાશે:જવાબ આપ્યા પછી સ્ક્રીન પર લીલો રંગ એટલે સેવ, પેન્ડિંગ તો લાલ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET-2025 પરીક્ષાનું વિષયવાર સમયપત્રક જાહેર કરાયું છે. પરીક્ષા 31 ડિસેમ્બર, 2025થી 7 જાન્યુઆરી, 2026 સુધી સુરત સહિત સમગ્ર દેશમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.જાહેર થયેલા શિડ્યૂલ મુજબ પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં યોજાશે. જેમાં પ્રથમ શિફ્ટ સવારના 9:00થી 12:00 અને બીજી શિફ્ટ બપોરના 3:00થી સાંજના 6:00 કલાક સુધી ચાલશે. જોકે, 31 ડિસેમ્બરે માત્ર પ્રથમ શિફ્ટમાં જ પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રના શહેરની વિગત પરીક્ષાના 10 દિવસ અગાઉ વેબસાઇટ પર મૂકાશે. પોર્ટલ પરથી પોતાના વિષય મુજબનો ચોક્કસ સમય અને તારીખ ચકાસી શકશે. ઉમેદવારોની સુવિધા માટે સ્ક્રીન પર વિવિધ કલર કોડ રખાયા છે. લીલો રંગ એ સંકેત છે કે પ્રશ્નનો જવાબ આપી દીધો છે અને તે સેવ થઈ ગયો છે. લાલ રંગ દર્શાવે છે કે પ્રશ્ન વાંચ્યો છે પણ તેનો જવાબ આપવાનું બાકી છે. જો પ્રશ્નને ફરીથી તપાસવા બાકી રાખ્યો હોય તો તે જાંબલી રંગ (Mark for Review)માં દેખાશે, સફેદ રંગનો અર્થ એ છે કે તમે હજુ સુધી એ પ્રશ્ન ને ખોલ્યો નથી. સ્માર્ટ વોચ, ગેઝેટ પર પ્રતિબંધ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
માર્ગદર્શન:ફોસ્ટા કાર્યાલયમાં અગ્નિ સલામતી તેમજ નિવારણ માટે બેઠક યોજાઇ
ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના કાર્યાલયમાં અગ્નિ સલામતી અને અગ્નિ નિવારણ સંબંધિત ટેકનિકલ વિષયો પર એક મહત્વપૂર્ણ અને ઉપયોગી બેઠક યોજાઈ હતી. અગ્નિ સલામતી ક્ષેત્રના અનુભવી અને તકનીકી નિષ્ણાત નિવૃત્ત વિભાગીય ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રા અને તેમના ફાયર બ્રિગેડના વડા હાજર રહ્યા હતા. તેમણે કાપડ બજારો, વેરહાઉસ અને વાણિજ્યિક પરિસરમાં આગ નિવારણ, સલામતી ધોરણો, આધુનિક અગ્નિ સલામતી પ્રણાલીઓ અને જરૂરી સાવચેતીઓ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આગની ઘટનાઓને રોકવા માટે વ્યવહારુ સૂચનો પણ શેર કર્યા. બેઠકમાં હાજર તમામ ડિરેક્ટરો અને અધિકારીઓએ અગ્નિ સલામતી અંગે ગંભીરતાથી ચર્ચા કરી અને ભવિષ્યમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. હાજર રહેલા એક ઉદ્યોગપતિએ સૂચન કર્યું કે ફાયર વિભાગે વર્ષમાં બે વાર બજારોમાં પંપ અને સમગ્ર અગ્નિ પ્રણાલીઓનું નિરીક્ષણ કરવું જોઈએ, તેનું ફિલ્માંકન કરવું જોઈએ અને તેને મહાપાલિકાને સુપરત કરવું જોઈએ. ફોસ્ટા સુરતના કાપડ વેપાર ક્ષેત્રમાં સલામતી, જાગૃતિ અને સુરક્ષિત વ્યવસાયિક વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
રખડતાં કૂતરાંઓએ આતંક મચાવ્યો:વેસુમાં લસરપટ્ટીથી બાળકને કૂતરું ખેંચી ગયું, બચકાં ભર્યાં
વેસુમાં ગુરુવારે બપોરે સોસાયટીના ગાર્ડનમાં રમી રહેલા 8 વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. રત્ન જ્યોત એપાર્ટમેન્ટમાં બપોરે 12.30ના અરસામાં એક 8 વર્ષીય બાળક ગાર્ડનમાં રમી રહ્યો હતો. તે લસરપટ્ટી ખાઈને જેવો ઊભો થયો કે તરત જ એક રખડતું કૂતરું ધસી આવ્યું હતું અને તેના ડાબા હાથ પર બચકું ભરી લીધું હતું. કૂતરું બાળકનો હાથ ખેંચી રહ્યો હતો ત્યારે રહીશો દોડી આવ્યા હતા. લોકોએ બૂમાબૂમ કરી કૂતરાને ભગાવી દીધો હતો અને બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલા પછી 1 કૂતરાને પકડાયોરહીશોનો આક્ષેપ છે કે, સોસાયટી આસપાસ 5થી 6 કૂતરાંઓનો ત્રાસ છે. આ અંગે અગાઉ 2-3 ફરિયાદ કરી હતી, પરંતુ પાલિકાએ પગલાં લીધા ન હતાં. આખરે આ ઘટના બાદ પાલિકાની ટીમ એક કૂતરાને પકડી ગઈ હતી. જોકે, તમામ કૂતરાંઓને પકડવા જરૂરી છે.
સ્માર્ટ સિટી સુરતમાં મોબાઈલ નેટવર્કની ફરિયાદો સામે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ 3થી 7 નવેમ્બર દરમિયાન ડ્રાઇવ ટેસ્ટ કર્યો હતો, જેમાં મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ ઝોન તેમજ 14 હોટસ્પોટ અને 2 કિમી વોક ટેસ્ટ પણ કરાયા હતા. ટેસ્ટમાં એરટેલ, જીયો, વોડાફોન, આઈડિયા અને બીએસએનએલની સર્વિસનું મૂલ્યાંકન કરાયું હતું. ડાયમંડનગર, પુણા અંબાબા કોલેજ, નિયોલ ટ્રાન્સપોર્ટ નગર, પર્વત પાટિયા, ડિંડોલી, ઉધના ડેપો, ભેસ્તાન, સચિન, ન્યૂ સિટી લાઈટ, પાર્લે પોઈન્ટ, ગવિયર, વેસુ, અડાજણ, પાલ, કતારગામ, મોટા વરાછામાં આ ટેસ્ટ કરાયો હતો. કોલ સકસેસ રેટ : એટલે કોલ લગાવવાની કોશિશ સફળતાપૂર્વક કનેક્ટ થવાની ટકાવારી કોલ ડ્રોપ રેટ : કોલ અચાનક કપાઈ જવાની ટકાવારી. વોડાફોન આઈડિયામાં કોલડ્રોપ રેટ ઝીરો છે. જીયોમાં 0.15 ટકા છે. જ્યારે બીએસએનએલમાં 4.10 ટકા છે. કોલ સેટઅપ ટાઈમ : ફોન ડાયલ કરવાથી લઈને કોલ કનેક્ટ થાય ત્યાં સુધી લાગતો સમય. વોઈસ ક્વોલિટી : અવાજ કેટલો સ્પષ્ટ છે તેનો સ્કોર 4.5 હોય એટલે કોલમાં અવાજ એકદમ સ્પષ્ટ છે. Latency (ms-મિલિ સેકન્ડ) : ક્લિક કર્યા પછી રિસ્પોન્સ આવવામાં જેટલા મિલીસેકન્ડ લાગે એ.
મ્યુનિની યોજના:રહેણાકને 85, બિન રહેણાકને 65 % વેરામુક્તિ, જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી લાભ મળશે
આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજ માફીની સ્કીમ જાહેર કરી છે. નવી ફોર્મ્યુલા એટલે કે 2001 પછીથી જે લોકોના ટેક્સ બાકી હશે તેઓને રહેણાક મકાનો પર 85 ટકા અને બિન રહેણાક મકાનો પર 65 ટકા વ્યાજ માફી મળશે. આ સ્કીમનો લાભ લોકો જાન્યુઆરી, 2026થી માર્ચ, 2026 સુધીમાં લઈ શકશે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં 5 ટકા ઘટાડો થશે. ચાલુ નાણા વર્ષ 2025 - 26 પહેલાના તમામ બાકી ટેક્સધારકો માટે યોજના જાહેર કરાઈ છે જ્યારે જૂની ફોર્મ્યુલા એટલે કે 2001 પહેલાંથી જે લોકોનો ટેક્સ બાકી હશે તેઓને 100 ટકા વ્યાજ માફીનો લાભ મળશે. મહત્ત્વનું છે કે મ્યુનિ.ની ટેક્સની બાકી રકમ 3300 કરોડ રૂપિયા થાય છે. આ નાણા વર્ષમાં અત્યાર સુધીમાં મ્યુનિ.ને 1710 કરોડની આવક થઈ છે, જેમાં પ્રોપર્ટી ટેક્સની 1334.70 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ, TSF ચાર્જની રૂ. 17.84 કરોડ અને વિહિકલ ટેક્સની 166.32 કરોડની આવક થઈ છે.
શિક્ષણાધિકારીની ચીમકી:નિયત સમયમાં BUP નહીં લે તો 6 સ્કૂલોની માન્યતા રદ કરાશે: DEO
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની બીયુ પરમિશન ના મેળવ્યું હોવાથી સીલ મારવામાં આવેલી ખાનગી શાળાઓને બીયુ પરમિશન મેળવવા માટેની તાત્કાલિક તાકીદ કરવામાં આવી છે. જો આ સ્કૂલો બીયુ પરમિશન નહીં મેળવે તો તેની માન્યતા રદ કરવાની પણ કચેરીએ ચીમકી ઉચ્ચારી છે. શહેર ડીઈઓએ પાંચથી વધુ પ્રાથમિક સ્કૂલોના ટ્રસ્ટી અને આચાર્યોને સંબોધીને મોકલેલા પરીપત્રમાં જણાવ્યું છે કે, શહેર ડીઈઓ કચેરી હસ્તકની શાળાઓ પાસે બીયુ પરમિશન ના હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ છે. આપના દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં લઈને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરાઈ હશે, પરંતુ તાત્કાલિક આપની શાળાના બીયુ પરમિશન મેળવવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. આપના દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બીયુ પરમિશન મેળવવાની કાર્યવાહી કરવામાં નહી આવે તો તમારી શાળાની માન્યતા રદ કરાશે, સાથે જ આગળની કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી સ્કૂલોને લેખિત આદેશ કરાયો‘વિદ્યાર્થીઓને શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને સ્કૂલોને માટે લેખિતમાં આદેશ અપાયો છે. પ્રાથમિક શાળાઓ પાસે બીયુ પરમિશન ના હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડંગ સીલ કરાયુ હતુ. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. પરિણામે સીલ કરાયેલી શાળાઓનો હાલ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ લાંબા ગાળા માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવાની, બીયુ પરમિશન અને ફાયર સેફ્ટ મેળવી લેવા માટેની સૂચના અપાઈ છે. સ્કૂલોને આવશ્યક ફાયર એનઓસી લેવા માટે પણ જણાવાયું છે.’ - રોહિત ચૌઘરી, શહેર ડીઈઓ આ સ્કૂલોને આદેશ આપવામાં આવ્યોબ્રિગ્ટન પબ્લિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), ફારુકે આઝમ પ્રાઈમરી સ્કૂલ, ધ ન્યુ એજ સ્કૂલ, કુવેસ પ્રાઈમરી સ્કૂલ, ક્લાસિક પ્રાઈમરી સ્કૂલ, નેશનલ પ્રાઈમરી સ્કૂલ, ફોરચ્યુન સ્કૂલ
રેલવેએ મુસાફરી સમય ઘટાડવાના ઉદ્દેશથી ગાંધીધામ તથા જોધપુરથી વાયા અમદાવાદ થઈ બેંગલુરુ જતી ટ્રેનોને સુપરફાસ્ટ શ્રેણીમાં અપગ્રેડ કરતા મુસાફરોએ ટિકિટ ભાડાંની સાથે સરચાર્જ પણ ચૂકવવો પડશે. જેમાં સ્લીપર ક્લાસમાં રૂ.30, થર્ડ અને સેકન્ડ એસીમાં રૂ.45, ફર્સ્ટ એસીમાં રૂ.75 સરચાર્જ ચૂકવવો પડશે. ટ્રેનોનાં સ્ટોપેજ ન ઘટાડતાં ભાડું વધુ પણ મુસાફરીનો સમય યથાવત્ રહેશે. સુપરફાસ્ટ જાહેર કરેલી ટ્રેનોનાં નવા નંબર -24 ફેબ્રુ.થી ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ એક્સ- 16505 નવા નં.20685 સાથે દોડશે. -21 ફેબ્રુ.થી કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ એક્સ-16506 નવા નં.20686 સાથે દોડશે. -26 ફેબ્રુ.થી જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સ-16507 નવા નં.20693 સાથે દોડશે. -23 ફેબ્રુઆરીથી કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સ-16508 નવા નં.20694 સાથે દોડશે.
અંબાજીમાં 13થી 17 ડિસેમ્બર સુધી 34મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી. અમદાવાદના ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલય અને શિક્ષણ નિયામક કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામા રાજ્યની 46 જેટલી પાઠશાળાના 700 જેટલા ઋષિકુમારો-ઋષિકુમારીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ 9 સુવર્ણપદક, 7 રજતપદક, 12 કાંસ્યપદક મેળવી ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અવસરે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના ટ્રસ્ટી દેવેન્દ્ર દવે, પ્રધાનાચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતા તથા અધ્યાપકોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા અંગે સંયોજક ડૉ. અમૃતલાલ ભોગાયતાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સમિતિ સ્પર્ધાના 8 મહિના પહેલાં સમગ્ર દેશની સંસ્કૃત યુનિવર્સિટીને વિષયો મોકલતી હોય છે. સાથેસાથે જે ગ્રંથોમાંથી પ્રશ્નો પુછાવાના હોય તે ગ્રંથોનાં નામ પણ આપતી હોય છે. એ પછી યુનિવર્સિટીઓ 39 વિદ્યાર્થીની ટુકડી બનાવીને આ ગ્રંથોની વિશિષ્ટ તૈયારી કરાવાય છે. આ માટે શિક્ષકોને જવાબદારી સોંપાય છે. સતત 8 મહિના સુધી વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ ઉપરાંત સ્પર્ધાની વિશેષ તૈયારી કરે છે. એ પછી સમયાંતરે પાઠશાળા કક્ષાએ સ્પર્ધાની તૈયારી ચકાસવામાં આવે છે. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ગ્રંથોના કંઠસ્થ પાઠ કરે, એ પછી નિર્ણાયકો પ્રશ્નો પૂછો એના ઉત્તરો આપવાના હોય છે. એ સિવાય પ્રતિસ્પર્ધકો પણ પ્રશ્નો પૂછતા હોય છે. સ્પર્ધકો પ્રશ્ન પૂછે એના પણ ગુણ ગણવામાં આવતા હોય છે. આ રીતે સ્પર્ધા અડધા કલાકથી 4 કલાક સુધી પણ ચાલતી હોય છે.
હોદ્દેદારોની નિમણૂક:વડીલોની સમસ્યા જાણવા, સાઇબર ફ્રોડથી બચાવવા શહેરમાં પ્રથમ વાર ફેડરેશન રચાયું
શહેરના વરિષ્ઠ નાગરિકોની સમસ્યા, મુંઝવણ સમજીને તેનો ઉકેલ લાવવા સાથે સાઇબર ફ્રોડથી બચાવવા માટે પ્રથમ વાર સિનિયર સિટીઝન ફેડરેશન રચાયું છે. ગુરુવારે સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં શહેરના 48 વોર્ડમાં સિનિયર સિટીઝન માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. સંસ્થા પ્રમુખ રાજેન્દ્ર વ્યાસના કહેવા પ્રમાણે શહેરમાં 60 વર્ષથી વધુ વયના વડીલોને તકલીફ વધી રહી છે. સંગઠનમાં 10 હજારથી વધુ વડીલો નોંધાયેલા છે. આ વડીલો માટે 24 કલાક નિ:શુલ્ક સેવા પૂરી પડાશે. ગુજરાતમાં વડીલોને તકલીફ છે. જો હવે સિનિયર સિટીઝન સાથે સાઇબર ફ્રોડ થશે તો સંગઠન તેમને મદદ કરશે. થોડા સમય બાદ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાશે. સાઇબર ફ્રોડ અટકાવવા પોલીસને વડીલોની વિગતો અપાશે, સમિતિની રચના કરાશે તાજેતરમાં શહેરમાં વરિષ્ઠ નાગરિકો સાથે સાઇબર ઠગાઈની ઘટનાઓ બની રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં 48 વોર્ડના તમામ પોલીસ સ્ટેશનમાં સિનિયર સિટીઝન ફેડરેશન દ્વારા નોંધાયેલા વડીલોની વિગતો અપાશે. ત્યાર બાદ પોલીસ ટીમ સાથે સંસ્થાની કમિટી સભ્યો યોગ્ય સપોર્ટ કરશે. થોડા સમયના સિનિયર સિટીઝન ફેડરેશન એક કમિટીની રચના કરશે. ફેડરેશનની માગણીઓ
18 લાખ લોકોને રાહત થશે:વૈષ્ણોદેવીથી શાંતિપુરા સુધી ટ્રંકલાઈન નખાઈ, વરસાદી પાણી ન ભરાવાનો દાવો
વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ સુધી 372 કરોડના ખર્ચે 27.304 કિમીની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન નાખવામાં આવી છે. મ્યુનિ.નો દાવો છે કે, હવે બોપલ, આંબલી, શીલજ, ઘુમા, એસજી હાઈવે તેમજ એસપી રિંગ રોડને જોતાં વિસ્તારમાં હવે વરસાદી પાણી નહીં ભરાય તેમજ ગટરો ઊભરાવાની સમસ્યા નહીં સર્જાય. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું આ મહિનાના અંતમાં લોકાર્પણ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ થઈ સાબરમતી નદી સુધીની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનનું કામ પાંચ તબક્કામાં પૂર્ણ કરાયું છે. સાબરમતી નદી સુધી 2400 મી. વ્યાસની નવી ડ્રેનેજ ટ્રંક લાઈન ઓપન એક્સકેવેશન પદ્ધતિથી બિછાવવામાં આવી છે. આ લાઈનને મુખ્ય ધોરી લાઈન તરીકે વિકસાવાઈપશ્ચિમ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોમાં ઝડપી વધારો થયો છે. આ વિસ્તારોમાં ગટર અને વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનને મુખ્ય ધોરી લાઈન તરીકે વિકસાવાઈ છે. પ્રોજેક્ટ કાર્યરત થતાં સાબરમતી નદી સુધી પાણીનો સીધો નિકાલ શક્ય બનશે અને ચોમાસામાં ગટર બેક નહીં મારે.
72 વર્ષીય વૃદ્ધ પ્રેમિકાના રવાડે ચઢતા, રોજ મોડી રાત સુધી મોબાઈલમાં ચેટિંગ કરતા, મોર્નિંગ વોકના બહાને તેમજ નોકરીથી છૂટીને મળતાં હતાં. વૃદ્ધની પત્નીને શંકા જતા તેમણે પીછો કરી પતિને પ્રેમિકાના હાથમાં હાથ નાખી ફરતાં રંગેહાથ પકડી પાડ્યાં હતાં. જે પછી ઝઘડો થતાં અભયમને બોલાવતા ટીમે વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. પોશ વિસ્તારમાં રહેતું 72-68 વર્ષીય વૃદ્ધ દંપતી પૈકી પતિ બેન્કમાંથી નિવૃત્તિ બાદ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. પતિ છેલ્લા કેટલાક દિવસથી મોડી રાત સુધી મોબાઈલમાં કોઈકની સાથે વાતો કરતા હતા. જેથી પત્નીને શંકા જતા તેણે મોબાઈલ ચેક કર્યો, તો કંઈ મળ્યું નહીં. એક દિવસ વૃદ્ધ મોર્નિંગ વોક પર નીકળ્યા ત્યારે વૃદ્ધાએ તેમનો પીછો કર્યો તો પતિ ગાર્ડનમાં જઈ તેમની 38 વર્ષીય પ્રેમિકાની સાથે ફરતા હતા. 181ની ટીમને બોલાવવી પડી હતી. અભયમ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા, વૃદ્ધને 2 વર્ષથી પ્રેમસંબંધ હતો. અભયની ટીમે વૃદ્ધ અને પ્રેમિકાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભૂલ સમજાતા ફરી આવું ન કરવાની બાંયધરી આપી હતી. અગાઉ 42 વર્ષની મહિલા સાથેય વૃદ્ધને અફેર હતુંકાઉન્સેલિંગમાં વધુ એક વિગત એ સામે આવી કે, આ વૃદ્ધનો આ બીજો કિસ્સો હતો. ત્રણ વર્ષ પહેલાં પણ તેમને એક 42 વર્ષીય મહિલા સાથે પ્રેમસંબંધ હતો, જે એક વર્ષ ચાલ્યો હતો. તે સમયે પણ પત્નીને શંકા જતાં, વૃદ્ધે ચેટ ક્લિયર કરતાં શીખી લીધું હતું અને સંબંધ તોડી નાખ્યો હતો. પણ, આ વખતે રંગેહાથ પકડાયા હતા.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવવા સંબંધિત બિલને લઈને રહ્યા. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. બીજા સમાચાર ચાંદી અંગેના છે, જે સતત બીજા દિવસે ₹2 લાખ રૂપિયાને પાર રહી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગુજરાત અને તમિલનાડુમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. 2. પહેલી ડિસેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. 3. એપસ્ટીન કેસ સંબંધિત તમામ ઇમેઇલ્સ, ફોટા અને દસ્તાવેજો યુએસમાં જાહેર કરવામાં આવશે 4. ભારત વિ દક્ષિણ આફ્રિકા T20I, અમદાવાદમાં સાંજે 7 વાગ્યે રમાશે કાલના મોટા સમાચારો 1. લોકસભામાં 'VB- G RAM G' બિલ પાસ:વિપક્ષે બિલની કોપી ફાડી કાગળો ફેંક્યા, શિવરાજે કહ્યું-'મનરેગા' પહેલા 'નરેગા' હતી, કોંગ્રેસે ચૂંટણીમાં ફાયદા માટે તેમાં મહાત્મા ગાંધીને જોડ્યા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, VB-G રામ જી બિલ પર જવાબ આપ્યો. આ દરમિયાન, વિપક્ષે બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. વિપક્ષના સાંસદોએ વેલમાં પહોંચી ગયા અને બિલની કોપી ફાડી કાગળો ફેંકાયા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું, અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. બાપુ અમારા પ્રેરણા અને આદર છે. આખો દેશ અમારા માટે એક છે. દેશ અમારા માટે ફક્ત જમીનનો ટુકડો નથી. અમારા વિચારો સંકુચિત કે મર્યાદિત નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ:એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે સુપ્રીમ કોર્ટે બુધવારે ન્યાયપાલિકામાં ભ્રષ્ટ આચરણને લઈને પરોક્ષ રીતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે નિવૃત્તિના બરાબર પહેલા ન્યાયાધીશોનું બાહ્ય કારણોથી પ્રભાવિત થઈને ઝડપથી ચુકાદાઓ આપવા દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું- કેટલાક ન્યાયાધીશોમાં નિવૃત્તિના થોડા દિવસો પહેલા ખૂબ વધારે આદેશો પસાર કરવાની વૃત્તિ વધી રહી છે. તેઓ આદેશો એવી રીતે સંભળાવે છે જાણે મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા હોય. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચાંદી ₹1,609 વધીને ₹2.01 લાખ પ્રતિ કિલો ઓલટાઇમ હાઈ:આ વર્ષે ચાંદીની કિંમત ₹1.15 લાખ વધી ચૂકી છે, સોનું 10 ગ્રામ ₹1.32 લાખ થયું ચાંદી આજે એટલે કે 18 ડિસેમ્બરે સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદી 1,609 રૂપિયા વધીને 2,01,250 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ પહેલા 17 ડિસેમ્બરે તે 1,99,641 રૂપિયા પર બંધ થઈ હતી. જ્યારે ગઈકાલે ચાંદી પહેલીવાર 2 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઉપર નીકળી હતી. ગઈકાલે સવારે તે 2,00,750 રૂપિયા પર ઓપન થઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીની કિંમત 1,15,233 રૂપિયા વધી ચૂકી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO:ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી સંસદના શિયાળુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે બંને પક્ષોના નેતાઓ વચ્ચે હસી-મજાક ભરી વાતચીત જોવા મળી. કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન ચંદીગઢ-શિમલા હાઈવે સંબંધિત પૂરક પ્રશ્ન ઉઠાવ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ જૂનથી પોતાના સંસદીય ક્ષેત્રના મુદ્દાઓને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળવાનો સમય માંગી રહ્યા છે. પ્રિયંકાએ કહ્યું, સર, હું જૂનથી તમને મળવાનો સમય માંગી રહી છું, કૃપા કરીને સમય આપો જેથી હું મારા લોકસભા ક્ષેત્રની વાત રજૂ કરી શકું. આના પર ગડકરીએ હસતા હસતા જવાબ આપ્યો, “તમે પ્રશ્નકાળ પછી આવી જાઓ. ગમે ત્યારે આવી જાઓ, દરવાજો હંમેશા ખુલ્લો રહે છે, એપોઇન્ટમેન્ટની જરૂર નથી.” ગડકરીના આ જવાબ પર પ્રિયંકા ગાંધીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. 1 કલાક પછી જ્યારે તેઓ ગડકરીની ઓફિસે પહોંચ્યા ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેમને ચોખાની એક ખાસ વાનગી પણ ખવડાવી, જે તેમણે પોતે યુટ્યુબ જોઈને બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઉત્તરાખંડના હેમકુંડમાં પારો માઇનસ 20 ડિગ્રી:રાજસ્થાનના 5 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે, યુપીમાં 30 જિલ્લાઓમાં ભારે ધુમ્મસ; ઘણી ફ્લાઇટ્સ-ટ્રેનો મોડી રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. ફતેહપુર, ડુંગરપુર, લૂણકરણસર અને નાગૌરમાં બુધવારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નાગૌરમાં સૌથી ઓછું, 3.7 ડિગ્રી તાપમાન રહ્યું. ફતેહપુરમાં 3.8, લૂણકરણસરમાં 4.3, ડુંગરપુરમાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં ગુરુવારે સવારે ધુમ્મસનું ગાઢ પડ છવાયેલું રહ્યું. પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, અમેઠી, અયોધ્યા સહિત ઘણા જિલ્લાઓમાં વિઝિબિલિટી શૂન્ય અથવા મહત્તમ 10 મીટર રહી. રસ્તાઓ પર વાહનચાલકોને સામે કંઈ પણ દેખાતું ન હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. T-20 માટે ઈન્ડિયા-સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ આવી: ITC નર્મદા અને હયાત રેજન્સીમાં ખેલાડીઓ રોકાશે, આજે મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચોની સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. જેના માટે ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે અમદાવાદ આવી પહોંચી. ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ITC નર્મદામાં રોકાશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે. અમદાવાદ એરપોર્ટ પર હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા. હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બંને ટીમ હોટેલ જવા માટે રવાના થઈ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માઈન્ટ આબુનો પારો માઈનસ 2 ડિગ્રીએ સરકતાં બરફ જામ્યો:હાડ થીજવતી કડકડતી ઠંડીમાં નખી લેક પર ગુજરાતી સહિત પ્રવાસીઓનો જમાવડો; લોકોએ મોસમની મોજ માણી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને 'રાજસ્થાનના કાશ્મીર' તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં ઠંડીએ જોર પકડ્યું છે. આજે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાતા પારો -2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો હતો. હાડ થીજવતી આ કડકડતી ઠંડીને કારણે સમગ્ર માઉન્ટ આબુ બરફની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ઠંડીની તીવ્રતા એટલી વધુ હતી કે વહેલી સવારે ખુલ્લા મેદાનો, બગીચાઓ અને પાર્ક કરેલી ગાડીઓ પર બરફના થર જામી ગયા હતા. સ્થાનિક લોકો અને પર્યટકો પોતાની કાર પર જામી ગયેલા બરફને હાથથી હટાવતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ બરફીલા નજારાના અનેક વીડિયો વાઈરલ થયા છે, જેમાં લોકો આ અદભૂત કુદરતી દ્રશ્યોને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દર વર્ષે 5 લાખ રોડ એક્સીડેન્ટમાં 1.8 લાખ મોત:રોજના 493 લોકો મોતને ભેટી રહ્યા, 18-34 વર્ષના યુવાનો વધુ; ગડકરીએ સ્વીકાર્યું- સરકાર મોતની સંખ્યા ઘટાડવામાં સંપૂર્ણપણે સફળ નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : દાવો- ટ્રમ્પ વેનેઝુએલા સાથે યુદ્ધની ઘોષણા કરી શકે:અમેરિકી રાષ્ટ્રપતિની માગ- વેનેઝુએલા તેલના અધિકારો પાછા આપે; તેલ ટેન્કરો પર નાકાબંધી કરી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દિલ્હીમાં આજથી'નો PUC, નો ફ્યુઅલ':પ્રદૂષણ સામે કડક નિયમો લાગુ, BS-6થી નીચેના વાહનોની એન્ટ્રી બંધ; PUC સર્ટિફિકેટ વિના પેટ્રોલ નહીં મળે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : શહબાઝ શરીફે કહ્યું-દિલ્હીથી મુંબઈ સુધી ભારત હાર નહીં ભૂલે:મોદી સરકારને પાઠ ભણાવ્યો; 6 ફાઈટર પ્લેન તોડી પાડવાનો પાકિસ્તાનના PMનો દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : મેચ રદ થવા પર શશિ થરૂરે BCCIને ઘેર્યું:કહ્યું- મેચ તિરુવનંતપુરમમાં થવી જોઈતી હતી; અખિલેશ યાદવે સરકારને જવાબદાર ઠેરવી વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે માગશર મહિનાનો છેલ્લો દિવસ:વ્રત કથા: ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી અમાસનું વ્રત અને પીપળાની પૂજા કરવામાં આવે છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે શરીરના અંગો રમકડાંની જેમ વેચતો માણસ, સજા થઈ અમેરિકાના બોસ્ટનમાં હાર્વર્ડ મેડિકલ કોલેજના શબઘરના પૂર્વ મેનેજર સેડ્રિક લોજને શરીરના ભાગો ચોરવા બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે રમકડાંની જેમ અંગો વેચતો હતો. તેણે એક વ્યક્તિને બુકબાઈન્ડિંગ માટે તેની ચામડી વેચી દીધી હતી, અને બીજા વ્યક્તિને તિજોરી સજાવવા માટે ચહેરો વેચ્યો હતો. આરોપીની પત્નીએ પણ આ પ્રવૃત્તિમાં મદદ કરી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:દિલ્હી કરતા પણ ઝેરી હતું બેઇજિંગ, ચીને કેવી રીતે બનાવ્યું 'સ્મોગ ફ્રી'; શું ભારતમાં ચીનનું મોડેલ ન અપનાવી શકાય? 2. સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-4 : દુનિયાનાં 40 બેસ્ટ લોકેશન અમદાવાદમાં ઊભાં કર્યાં:‘ગીતા રબારી, કિંજલ દવેથી લઇ પ્રતીક ગાંધી સહિતના સ્ટાર્સ અમારે ત્યાં શૂટ કરવા આવે છે’ 3. રણમાં સન્નાટો, વિચિત્ર અવાજો અને 28 કલાકનો સંઘર્ષ:અમદાવાદના ડૉક્ટર કપલે જીતી ખતરનાક ગણાતી ધ હેલ રેસ; 161 કિમીની સફરનો જણાવ્યો રોચક અનુભવ 4. ભાસ્કર ઈન્ટરવ્યૂ : કાઠિયાવાડી 'ચાઇનામેન'થી IPL બેટર્સ થથરશે!:રાજકોટના ક્રેઇન્સ કુલેત્રા પર ઘણી ટીમ આફરીન હતી, જાણો SRHના 'મિસ્ટ્રી પ્લેયર'ની કહાની 5. ભાસ્કર એક્સક્લૂસિવ : પાકિસ્તાનમાં ફરી ઘરની સામેથી હિન્દુ માતા-પુત્રીનું અપહરણ:11 મહિનામાં 73 કેસ, યુવતીઓ-મહિલાઓ ટાર્ગેટ, ધર્માંતરણ માટે કિડનેપિંગ 6. બ્લેકબોર્ડ: પતિનું મોત થયું તો સાસુએ ટુવાલથી મોઢું દબાવ્યું:વિદેશમાં પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સ્પર્મ લઈને માતા બની; સિંગલ મધર્સની કહાની કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:ધન-સિંહ- વૃશ્ચિક જાતકોને મહેનતનું યોગ્ય ફળ મળશે, વૃષભ- કર્ક રાશિના લોકોને વ્યર્થ વાદ-વિવાદમાં ન પડવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
રોગચાળાની ભીતિ:ખેડાના ભેરાઇ તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતાં હજારો માછલીઓના મોત
ખેડા તાલુકાના ભેરાઈથી નવાગામ જવાના રોડ ઉપર આવેલ ભેરાઈના તળાવમાં કોઈ અસામાજિક તત્વો કે પછી ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા તળાવમાં રહેલી હજારો માછલીઓ મૃત્યુ પામી છે. ભેરાઇ તળાવમાં ખારીકટ કેનાલનું પાણી આવતું હોવાથી કોઈ અસામાજિક તત્વો દ્વારા ખારી કટ કેનાલમાં કેમિકલ છોડવામાં આવ્યું હોય કે પછી તળાવમાં ટેન્કર મારફતે કેમિકલ ઠાલવવામાં આવ્યું હોય તેવી આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તળાવમાં મોટી માત્રામાં રહેલી માછલીઓ હાલમાં કિનારે મૃત પડેલી જોવા મળી રહે છે. આટલી મોટી માત્રામાં એકસાથે માછલીઓ મૃત્યુ પામતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ છે. આ તળાવમાંથી કેટલાક ખેડૂતો પણ પોતાના પાક માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે કેમિકલયુક્ત પાણીને કારણે માછલીઓ મૃત્યુ પામી હોવાથી ખેડૂતોને પણ આ પાણીનો ખેતીમાં ઉપયોગ કરતાં પહેલાં ચકાસવું જોઇએ. સ્થાનિક તંત્ર દ્વારા મૃત્યુ પામેલ માછલીઓને તળાવમાંથી દૂર કરવામાં નહીં આવે તો આજુબાજુ વિસ્તારોમાં દુર્ગંધ ફેલાવાની સાથે બિમારી ફેલાય તેવી પણ ભિતી જોવા મળી રહી છે. અસંખ્ય માછલીઓના મૃત્યુની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા હજીસુધી કોઇ તપાસ કરવામાં આવી નથી.
રજુઆત:પોરબંદરના ટાઉન પ્લાનિંગની દશા બગાડી
પોરબંદરમાં ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ જે રીતે હતું ત્યારે નિયમો વિરુધ્ધ બાંધકામના કારણે શહેરની દશા બગાડી છે. મનપા દ્વારા નવું ટાઉન પ્લાન્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરી છે. એક દિવસ પોરબંદરનો ટાઉન પ્લાનિંગ કયા પ્રકારનો હતો એની આજે જે દશા કરી છે, એની પાછળ કોઈ જવાબદાર હોય તે 80 ટકા બિલ્ડરો છે, જેઓએ વધુ કમાવાની લાલચમાં ગામની દશા બગાડી છે, આડેધડ નિયમ વિરુધ્ધ બાંધકામો કરેલા છે એની મંજૂરી આપી દીધી હતી. કોમર્શિયલ બાંધકામોના પાર્કિગની સુવિધા નથી અને મંજૂરી વખતે પાયાની સુવિધા પાર્કિંગના સ્થાને દુકાનો બનાવી વેંચી દીધી છે. બિલ્ડરોએ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં નિયમ વિરુધ્ધ બાંધકામ કરી ગામની સો ટકા ટાઉન પ્લાનિંગની પરિસ્થિતિ બગાડી છે હાલમાં જે ટ્રાફિકને નડતર રૂપ બિલ્ડીંગ છે, એમાં પાર્કિંગ બતાવવામાં આવેલ છે પણ પાર્કિંગ નથી. અને આ જવાબદારી મનપાની છે ત્યારે ખાસ ઝુંબેશની જરૂર છે. ગામમાં કદાચ એક બાગ બગીચો ઓછો હશે તો ચાલશે પરંતુ જે ગામની જરૂરિયાત છે તે પૂરી કરવી જરૂરી છે. ભવિષ્યમાં બિલ્ડીંગોના બાંધકામ, શોપિંગ સેન્ટરો, મોલના ટાઉન પ્લાનિંગ નિયમ મુજબના હોય એને જ મંજૂરી મળવી જોઈએ. નવા ટાઉન પ્લાનિંગમાં નવા વિકસિત એરિયામાં રેસિડન્ટ સાથે અન્ય કોમર્શિયલ દુકાનો જેવીકે, પાન, ચા જેવી દુકાનોને સ્થાન મળવું ન જોઈએ. નવા ટાઉન પ્લાનિંગનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે અને ટ્રાફિક સમસ્યા દૂર કરવાનું આયોજન કરવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભૂતકાળમાં થયેલ મિટિંગમાં સવાલ સામે કોઇપાસે જવાબ ન હતો ભૂતકાળમાં ગેરકાયદેસર બિલ્ડીંગ પાડવામાં આવતા હતા, ત્યારે એક મિટિંગની આયોજન થયું હતું, જેમાં સુનિલ ગોહેલે જણાવ્યું હતુકે, પોરબંદર આપણું છે અહીંયા રાજકોટ, જામનગર, જૂનાગઢ કે આજુબાજુના ગામ પોરબંદરને સુધારવા માટે નથી આવવાના, ત્યારે મિટિંગમાં આવેલ બિલ્ડરો અને ગામના આગેવાનોની વચ્ચે કોઈ પાસે આ બાબતનો જવાબ નહતો.
હાલાકી:શહેરની સરકારી ફાર્મસી કોલેજમાં 11 પ્રોફેસરની ઘટ, પ્રિન્સિપાલ પણ ચાર્જમાં
ગાંધીનગરમાં ચાલતી સરકારી ફાર્મસી કોલેજમાં ફેકલ્ટીની તીવ્ર અછત વચ્ચે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે. અહીં 11 જેટલા ફેકલ્ટીઝ ઓછા છે સાથે અન્ય સુવિધાઓની પણ ઉણપ છે. ગાંધીનગર પોલિટેકનિક ખાતે આવેલી ફાર્મસી કોલેજ યુજી ફાર્મસી કોર્સ માટે જે વ્યવસ્થા હોવી જોઈએ, તે પ્રમાણે હાલ નથી. નિયમો કહે છે કે આવા કોર્સ માટે આશરે 17 ફેકલ્ટી હોવા જોઈએ. પરંતુ કોલેજમાં હાલ માત્ર 6 ફેકલ્ટી છે. તેમાંમાંથી પણ બે ફેકલ્ટી વિઝિટિંગ છે, અને કેટલાક લેકચર ઓનલાઈન લેવાય છે. પ્રિન્સિપાલની જગ્યા પણ ચાર્જમાં ચાલે છે. અહીં 250થી વધુ વિદ્યાર્થીઓ બીફાર્મનો અભ્યાસ કરી રહ્યા છે જેમના અભ્યાસ પર વિપરિત અસર પડી રહી છે. સરકારી કોલેજ હોવા છતાં આ સ્થિતિ છે. જ્યારે ઓછા લોકો પર વધારે જવાબદારી આવે છે, ત્યારે અભ્યાસક્રમ પર અસર થાય છે. લેબોરેટરીની સ્થિતિ પણ કફોડી છે, જ્યાં 12 લેબોરેટરીઓ હોવી જોઈએ, ત્યાં હાલમાં માત્ર 4 લેબોરેટરીઓ છે. એટલે કે, જરૂરી સંખ્યાની સરખામણીમાં લેબ ઘણી ઓછી છે. ગાંધીનગર જેવી રાજધાનીમાં આવેલી સંસ્થા અંગે આવી વિગતો સામે આવવી સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બને છે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો તેના પરિણામો વધુ ગંભીર બની શકે છે.
ભાસ્કર નોલેજ:બાર એસોસિએશનમાં 876 મતદારો50 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી કરશે
ભરૂચમાં બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 થી બપોરના 3.15 વાગ્યા સુધી યોજાશે. ચાલુ વર્ષે ભાજપના આગેવાનોની બે પેનલની સામે સહકાર પેનલનો મુકાબલો થશે. પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થશે. અત્યાર સુધીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે મુકાબલો થતો હતો પણ ચાલુ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાને પણ સમરસતા પેનલ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પરિવર્તન અને સમરસતા પેનલ ભાજપના આગેવાનોની છે. બાર એસોસીએશનમાં 876 મતદારો નોંધાયેલાં છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે. મતદાન બપોરના 3.15 વાગ્યા સુધી ચાલશે. મતદાન બાદ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. આજે શુક્રવારના રોજ મતદારો ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. દરેક મતદારે 16 મત આપવાના રહેશેભરૂચ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ માટે 3 ઉમેદવારમાંથી એકને, ઉપપ્રમુખમાં 4 ઉમેદવારમાંથી એકને, સેક્રેટરીમાં 6 માંથી 2ને, ટ્રેઝરરમાં 4માંથી એકને, પુરૂષ કમિટી સભ્યોમાં 24માંથી 8ને તથા મહિલા સભ્યોમાં 9માંથી 3 ઉમેદવારને મત આપવાનો રહેશે. આમ બાર એસોસીએશનની ચૂંટણીમાં દરેક મતદારે 16 મત આપવાના રહેશે. સહકારી સંસ્થા બાદ હવે ન્યાયાલયોમાં પણ ભાજપ આમને સામને ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન ઘનશ્યામ પટેલની સામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પેનલ ઉતારી હતી. સહકારી સંસ્થાઓ બાદ હવે ન્યાયાલયમાં પણ ભાજપ વિરૂધ્ધ ભાજપનો જંગ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં બે પેનલ ભાજપના આગેવાનોની છે. એક આગેવાન તો ભાજપના લીગલ સેલના અગ્રણી પણ છે. આજે થનારા મતદાનમાં કઇ પેનલ કઇ પેનલના મતો તોડે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવ્યા છે. જે 340 જેલા મનોવિજ્ઞાન શિક્ષકને બાળકોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું તેની એક દિવશ્ય તાલીમ જે.પી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રાખવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ, દેખરેખ અને તેમના હિતો જાળવવા માટે શિક્ષકોને સજ્જ કરવાનો હતો. શિક્ષકોને સિવિલ હોસ્પિટલના સાયકોલોજિસ્ટ અનિતા મકવાણાએ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને તેના લક્ષણો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. મનોચિકિત્સક ડો. પ્રશાંત બામણિયાએ બાળકોમાં જોવા મળતી માનસિક તાણ અને ચિંતાના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્ર શિક્ષકની મનોવૈજ્ઞાનિક ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે બાળકોની સલામતી બાબતે સરકાર ની અપેક્ષાઓ અને કાર્યરીતિ વિશે સમજ આપી હતી. સાથે સિનિયર સિવિલ જજ પી.પી. મોકાસીએ બાળલગ્ન અટકાયત, બાળકોના અધિકારો અને રક્ષણ માટેની કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. કિસ્સો : શિક્ષકની તાલીમે છાત્રાનો જીવ બચાવ્યોતાલીમ લીધેલા એક શિક્ષકને તેમની શાળાની એક વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચાર આવતા તેનું કાઉન્સલિંગ કર્યું હતું. વિદ્યાર્થીની રોજ માથામાં દુખાવાની દવા લેવા માટે આવતી હતી. શિક્ષકે તેને પૂછ્યું તો તેને ઘરની પરિસ્થિતિને લઈને આત્મહત્યાના વિચારની વાત કરી હતી. તાલીમ લીધેલા શિક્ષકે તેનું કાઉન્સલિંગ કરતાં તેની સમસ્યા જાણી અને કોઈપણ સમસ્યા હોઇ તો અમે દૂર કરશું તેવું જણાવતાં વિદ્યાર્થીનીનો આત્મ વિશ્વાસ વધ્યો છે. શિક્ષક થોડા થોડા દિવસમાં કાઉન્સલિંગ કરતાં રહેશે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ, દેખરેખ જાળવવા માટે શિક્ષકોને સજ્જ કરાયા
ભાસ્કર નોલેજ:ભરૂચમાં કોંગી આગેવાનો પદયાત્રા કરેતે પહેલાં પોલીસે અટકાયત કરી લીધી
ભરૂચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પદયાત્રા શરૂ કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને કલીનચીટ મળતાં પદયાત્રાનું આયોજન કરાયું હતું પણ સવારથી જ સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ખડકી દેવામાં આવી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ કાર્યવાહી રાજકીય બદલા રૂપે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત હેઠળ લીધા હતા. પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રિય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જીત થશે એવો સંદેશ આપવાના હેતુથી આ પદયાત્રાનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, યુવા નેતા શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ હેરાલ્ડ શું છે?નેશનલ હેરાલ્ડએ એક વર્તમાનપત્ર છે અને તેની શરૂઆત 1938માં પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તેના સંચાલનની જવાબદારી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની હતી. આ કંપનીમાં શરૂઆતથી જ કોંગ્રેસ અને ગાંધી પરિવારનું વર્ચસ્વ હતું. 2008 માં આ ન્યૂઝપેપરને નુકસાનને કારણે બંધ કરવું પડ્યું. ત્યારબાદ કોંગ્રેસે પાર્ટી ફંડમાંથી કંપનીને વ્યાજ વગર 90 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. ત્યારબાદ સોનિયા અને રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયાનામની નવી કંપની બનાવી હતી. એસોસિએટેડ જર્નલ્સને આપવામાં આવેલી લોનના બદલામાં યંગ ઈન્ડિયાને કંપનીમાં 99 ટકા હિસ્સો મળ્યો હતો. સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયા કંપનીમાં 38-38 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીના ભાગીદાર મોતીલાલ બોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ખડકી દેવામાં આવી
ખાસ ઝુંબેશ:ભરૂચમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બેની અટકાયત કરાઇ
ભરૂચમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બેની અટકાયત કરવામાં આવી છે. સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મૂકવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી બે અલગ-અલગ કેસ નોંધાવી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબ્જે કર્યા છે. એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા બે કેસો ઝડપી પાડ્યા હતા. જેમાં એક કેસમાં રૂપિયા 1,790 અને બીજા કેસમાં રૂપિયા 1,360 કિંમત નો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓને પકડીને તેમની સામે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવામાં આવે છે ગોગો સ્મોકિંગ કોન સામાન્ય રીતે બજારમાં મળતું એક તૈયાર પેપર કોન હોય છે. જેમાં તમાકુ તેમજ ગાંજા ચરસ જેવા ગેરકાયદેસર પદાર્થને ભરીને ધુમ્રપાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો તેને ગોગો નામે ઓળખે છે પરંતુ હકીકતમાં તે સ્મોકિંગ માટેનું સાધન છે. જેનો ઉપયોગ કરીને નશે બાજો નશો કરતાં હોય છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:મનપામાં ઈમ્પેક્ટ ફીની 1 વર્ષથીપેન્ડિંગ 735 ફાઈલોનો નિકાલ કરાશે
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે લાવવામાં આવેલા ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ, જુનાગઢ મહાનગરપાલિકા (JMC) માં અરજીઓનો મોટો ઢગલો થયો છે. છેલ્લા એક વર્ષથી કુલ 735 ઈમ્પેક્ટ ફી ફાઇલો પેન્ડિંગ છે, જેના કારણે અરજદારો અને મનપા બંને માટે સમસ્યા સર્જાઈ છે. જોકે હવે ટૂંક સમયમાં આમાંથી મોટાભાગની ફાઈલોનો નિકાલ કરી દેવામાં આવશે એમ અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેન્ડિંગ કેસોમાં મોટા ભાગની અરજીઓ રહેણાંક (રેસિડેન્શિયલ) બાંધકામોની છે. ફાઇલ ક્લિયર ન થવાનું મુખ્ય કારણ અરજદારો તરફથી ડોક્યુમેન્ટ્સ એટલે કે જરૂરી દસ્તાવેજો અધૂરા રજૂ થવા અથવા સમયસર પૂરા ન કરવાને આભારી છે. લોકો માત્ર ₹100 ની નજીવી અરજી ફી ભરીને અરજી કરી દે છે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કે દસ્તાવેજો પૂરા કરવાનું ભૂલી જાય છે, જેના કારણે ફાઈલો આગળ વધતી નથી.જોકે, આ 735 ફાઇલોમાં આશરે 50 જેટલી અરજીઓ કોમર્શિયલ (વ્યાપારી) બાંધકામોને નિયમિત કરવા માટેની છે, જેનું પ્રમાણ રહેણાંક ફાઇલો કરતાં ઓછું છે. હવે મનપા દ્વારા આ પેન્ડિંગ ફાઇલોના વહેલી તકે નિકાલ લાવવા માટે કમર કસવામાં આવી છે. સત્તાધીશોએ જાહેરાત કરી છે કે આગામી બે મહિનાના સમયગાળામાં આ તમામ 735 પેન્ડિંગ ફાઇલોને ક્લિયર કરી દેવામાં આવશે, જેથી અરજદારોને રાહત મળી શકે અને મનપાના રેકોર્ડ્સ અપડેટ થઈ શકે. અરજદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના અધૂરા દસ્તાવેજો તાત્કાલિક પૂર્ણ કરી મનપામાં જમા કરાવે. 735માંથી માત્ર 50 કોમર્શિયલ મુખ્ય કારણ અરજદારો દ્વારા ડોક્યુમેન્ટ્સ પૂરા ન કરવા,, પેન્ડિંગ સમયગાળો,1 વર્ષ, અરજી ફી, માત્ર 100 | રહેણાંક ફાઇલો: આશરે 685+ (મોટા ભાગની) | મનપાની કાર્યવાહી: હવે 2 મહિનામાં નિકાલ લક્ષ્યાંક. | | કોમર્શિયલ ફાઇલો: 50 |
શિક્ષણ:યુપીએસસી ડિફેન્સ, નેવેલ એકેડેમીની 394 પોસ્ટ માટે 12 એપ્રિલે પરીક્ષા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યૂપીએસસી)દ્વારા લેફ્ટેનન્ટની કુલ 394 પોસ્ટ પર પ્રવેશ માટેની નેશનલ ડીફેન્સ એકેડમી એન્ડ નેવેલ એકેડમી એક્ઝામ માટે અરજી માટેની 12 એપ્રિલ 2026માં યોજાનારી પરીક્ષા માટે ઉમેદવારો 30 ડીસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો upsc.gov.in, upsconli ne.nic.in વેબસાઈટ ની ચકાસણી કરી લેવા જણાવ્યુ છે. જનરલ, ઓબીસી, ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને માટે રૂપિયા 100 એપ્લિકેશન ફી રખાઈ છે. આર્મી વિંગ એનડીએ માટે કોઈ પણ બોર્ડમાં ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ શૈક્ષણિક સંસ્થાની ડીગ્રી, એનડીએની એરફોર્સ અને નેવેલ વિંગ માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. જણાવ્યુ છે. આ પોસ્ટમાં આટલી જગ્યા માટે અરજી થશે આર્મી - 208 પોસ્ટ ( 10 મહિલા ઉમેદવાર સહિત) નેવી - 42 પોસ્ટ ( પાંચ મહિલા ઉમેદવાર સહિત) એરફોર્સ - 92 પોસ્ટ ( બે મહિલા ઉમેદવાર સહિત)ગ્રાઉન્ડ ડયુટીસ(ટેક) - 18 પોસ્ટ ( બે મહિલા ઉમેદવાર સહિત) ગ્રાઉન્ડ ડયુટીસ (નોનટેક) - 10 પોસ્ટ (બે મહિલા ઉમેદવાર સહિત)નેવેલ એકેડમી - 24 પોસ્ટ ( ત્રણ મહિલા ઉમેદવાર સહિત) પોસ્ટ
ઉત્તર ગુજરાતના સરહદી અને આર્થિક દ્રષ્ટિએ મહત્વના એવા ચાણસ્મા, હારિજ,સમી અને રાધનપુર પંથકને રેલવે નકશા પર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માંગ ઉઠી છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.ચાણસ્મા, હારિજ,સમી અને રાધનપુરને રેલવે સાથે જોડાવા માટે માંગ કરાઈ છે. પ્રસ્તાવિત રેલવે રૂટ માટે ટેકનિકલ સર્વેનું કામ અગાઉ પૂર્ણ કરી દેવાયું છે. જો આ લાઇન કાર્યરત થાય તો પાટણ જિલ્લાના પછાત ગણાતા સમી-હારિરીજ પંથકનો સીધો સંપર્ક દેશના અન્ય મોટા શહેરો સાથે થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોની કૃષિ પેદાશો અને જીરું-વરિયાળી જેવા રોકડિયા પાકોના પરિવહનનો ખર્ચ ઘટશે. શંખેશ્વર તીર્થધામ નજીક હોવાથી પર્યટન અને સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થશે. રાધનપુરથી છેક મહેસાણા-અમદાવાદ સુધીનું અંતર ઘટશે અને મુસાફરી સસ્તી બનશે. આમ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા લોકહિતને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર રેલવે બજેટમાં નાણાકીય જોગવાઈ કરી વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તે હેતુથી આ રજૂઆત કરી છે.
વિજાપુર–આંબલિયાસણ રેલ ખંડ બાદ હવે વિજાપુર–આદરજ મોટી વચ્ચે રૂ.296.54 કરોડના ખર્ચે 39.75 કિલોમીટર લાંબા ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે વિભાગ દ્વારા નવી બ્રૉડગેજ લાઇન પર ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે 20 ડિસેમ્બરના રોજ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન રેલવેનું લાઈટ એન્જિન દોડાવી સ્પીડ ટ્રાયલ લેવામાં આવશે. ટ્રાયલ દરમિયાન એન્જિનને મહત્તમ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી નવીન ટ્રેકની ગુણવત્તા, સુરક્ષા અને સ્થિરતા ચકાસવામાં આવશે. આ દરમિયાન ટ્રેક પર ટેકનિકલ ટીમો પણ કાર્યરત રહેશે. સ્પીડ ટ્રાયલને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે નાગરિકોને ટ્રાયલ દરમ્યાન રેલવે ટ્રેકની નજીક ન જવા, કોઈપણ સંજોગોમાં ટ્રેક ઓળંગે નહીં તેમજ બાળકો અને પશુઓને ટ્રેકથી દૂર રાખવા અપીલ કરી છે. ટ્રાયલ સફળ થયા બાદ આ માર્ગ પર ટ્રેન સેવા શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિજાપુર, પિલવાઈ રોડ, લોદ્રા, મકાખાડ, લિમ્બોદ્રા, ઉનાવા–વાસણા, રાંધેજા, સોનીપુર રૂપાલ અને બ્રૉડગેજ મોટી રેલવે માર્ગે જોડાશે, જેના કારણે વિસ્તારની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
ભાસ્કર ઈન્સાઈડ:પ્રેમ લગ્નની અદાવતમાં કડીના યુવકની હત્યા કેસમાં સાત આરોપીને આજીવન કેદની સજા
કડીમાં છ વર્ષ પહેલાં થયેલા પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કેસમાં મહેસાણાની કોર્ટે 7 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો છે. કેસની વિગતો અનુસાર, કડીના ઘોરી શરીફ ખાનના નાસીરખાને ઘાંચી સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની અદાવત રાખી આરોપીઓએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 23 સપ્ટેમ્બર 2019ના રોજ શરીફ ખાન પોતાના મિત્ર મોઇન મિયાં ચિસ્તી સાથે મહેસાણાથી પરત ફરી રહ્યા હતા. સાંજે 5 વાગ્યે, દોલાણી તોફિક ઉર્ફે રબરે પીકઅપ ડાલાથી નક્કી કરેલા પ્લાન મુજબ તેમની કારને ટક્કર મારી હતી. કાર ઢસડાયા બાદ અન્ય આરોપીઓએ ક્રેટા કારમાંથી આવી તલવાર, લાકડી અને લોખંડની પાઈપ જેવા જીવલેણ હથિયારોથી શરીફ ખાન પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મિત્ર મોઇન ચિસ્તી નાસી છૂટ્યો હતો. આરોપીઓએ શરીફ ખાનને માર મારીને કારમાં નાખી કડીના ચબુતરા ચોકમાં પણ લાવ્યા હતા અને ત્યાં ફરીથી મૂઢ માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શરીફ ખાનનું બીજા દિવસે, 24 સપ્ટેમ્બરના રોજ, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સરકારી વકીલ અશોક મકવાણાની દલીલો અને 73 જેટલા સાક્ષીઓની તપાસ બાદ એડિશનલ સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ તમામ 7 આરોપીઓને હત્યાના ગુનામા (કલમ 302) દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં મૃતકના મિત્ર મોઈન ચિસ્તીની જુબાની મહત્ત્વની સાબિત થઈ હતી દોલાણી તોફિક ઉર્ફે રબર અબ્દુલ રસીદ રહે. ભાગતવાડા 2. ઘાંચી અશરફ ઉર્ફે અસલો ઈબ્રાહીમ ભાઈ રહે. અલમરિયમ રેસીડેન્સી કાજી અલ્ફાઝ ઉર્ફે મકો યુસુફભાઈ રહે. સિંધી વાડા મલેક અરબાઝ ઉર્ફે બાપજી સલીમભાઈ રહે. ઘુમ્મટીયા ચોક દોલાણી રઉફ રફલો અબ્દુલ રસીદ રહે. ભાદતવાડો મલેક ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ રહે અઘારવાડો અને ઘાંચી રમીજભાઈ મહમદભાઈ રહે નાનો-મોચીવાસ તમામ કડીને સજા ફટકારી હતી. કારમાં જીપીએસ ટ્રેકર ફીટ કરી યુવક સુધી પહોંચ્યા હતાપ્રેમ લગ્ન કરનાર શરીફ ખાનની હત્યા કરવા માટે આરોપીઓ દ્વારા પ્રિ પ્લાનિંગ આયોજન કરાયું હોવાનું બહાર આવ્યું હતું જેમાં આરોપીઓ દ્વારા શરીરખાન ની મુવમેન્ટ તે ક્યાં જાય છે, આવે છે તે જાણવા માટે તેની સ્વિફ્ટ ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કર્યું હતું જેને આધારે તેમને ખબર પડી હતી કે શરીર ખાન પોતાના મિત્ર સાથે કાર લઈને કડી આવી રહ્યો છે અને તે જ સમયે તેના પર હુમલો કરીને તેની હત્યાને અંજામ આપ્યો હતો.
મારા કામની વાત:ધંધો બદલી વ્યવસાય વેરો ના ભરતાં 395 દુકાનદારોને મનપાએ શોધ્યા
મહેસાણા શહેરમાં ઘણા વ્યવસાયકારોના સ્થળ પર પાટીયા બદલાયા પછી નવા વ્યવસાયના પાટીયા લાગી ગયા પરંતુ આ નવા વ્યવસાય શરૂ કર્યા પછી મનપામાં ગુમાસ્તા લાયસન્સ મેળવી વ્યવસાયવેરામાં નોધણી કરાવતા નથી. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા વ્યવસાયકારોને બજાર વિસ્તારમાં ટીમરાહે સર્ચ કરવામાં આવી રહ્યા છે અને રજિસ્ટ્રેશન હેઠળ આવરી લેવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. જેમાં 18 દિવસમાં જ ન નોધાયેલ 395 વ્યવસાયકારો શોધ્યા છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ શોપિંગ સેન્ટરોમાં વ્યવસાયકર્તા હોય પણ ગુમાસ્તા કે વ્યવસાય વેરા રજિસ્ટ્રેશન કરાવેલ ન હોય તેવા તા.1થી 18 ડિસેમ્બર દરમિયાન 395થી વધારે કરદાતાઓ શોધવામાં આવ્યા છે. બીજી તરફ ચાલુ વર્ષે મનપાએ વ્યવસાય વેરા પેટે 6.30 કરોડની આવક કરી છે. જ્યારે ડિસેમ્બરના 18 જ દિવસમાં 60 લાખથી વધારેની આવક નોંધાયેલ છે. મહેસાણા શહેર અને ભળેલા તમામ વિસ્તારોને આવરી લેવાશે. ઘરે બેઠા પણ વ્યવસાય વેરો ભરી શકાશે કરદાતાઓ ઘરે કે તેમની ઓફિસ બેઠા પણ મનપાની વેબસાઇટ mahesanacity.in ઉપર જઇને તરત ઉપર પ્રોફેશનલ ટેક્ષ લખેલુ આવશે. તે પસંદ કરીને પોતાનો પીઇએન 0610થી શરૂ થતો નંબર નાખીને કર પેમેન્ટ કરી શકશે.આ ઉપરાંત મોબાઇલ એપ્લિકેશન mahesana municipal corporationની એપ પ્લે સ્ટોરથી ડાઉન લોડ કરી મહેસાણા મનપાના લોગો સાથેની એપ્લીકેશન ખુલશે તે ડાઉનલોડ કરીને પણ ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે. મનપાની મુખ્ય કચેરી અને ઝોન કચેરી, સિવિક સેન્ટર પણ પેમેન્ટ ભરી શકે. મનપામાં ભળેલ પંચાયત કચેરીમાં પણ કર્મચારી હોઇ ત્યાં પણ પ્રોફેશનલ ટેક્ષ ભરી શકાય છે.
2006થી કોઇક કારણોસર બંધ કરાયો હતો:નારગોલ ડેપો પુનઃ શરૂ કરવા માટે તજવીજ
તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણલાલ પાટકરે જાહેરમાં નારગોલ ડેપો પુનઃ શરૂ થવા જઈ રહ્યો હોવાનું જાહેર કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી નારગોલ વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા મુસાફરો દ્વારા ડેપો પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી રહી હતી. નારગોલ ડેપો પુનઃ શરૂ કરવા નારગોલના સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સ્થાનિક ધારાસભ્ય પાટકરને વારંવાર રજૂઆત કરી હતી. જેના પરિણામે હવે વર્ષ 2006થી બંધ પડેલો નારગોલ ST ડેપો ફરી શરૂ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.ગુજરાત ST નિગમનું ઉમરગામ પાલિકા વિસ્તારમાં કોસ્ટલ હાઈવેને અડીને નવા ST સ્ટેન્ડનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. ઉમરગામથી અંબાજી, સોમનાથ, દ્વારકા જેવા યાત્રાધામો સુધી તેમજ તાલુકાના ગામોને જિલ્લા મથક સાથે જોડતા લાંબા અંતરના રૂટો ઉમરગામ–નારગોલથી શરૂ થાય તે માટે બંધ પડેલ નારગોલ ડેપો ફરી શરૂ કરવો અનિવાર્ય બન્યો હતો. વલસાડ જિલ્લાનો નારગોલ બીચ હવે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સંજોગોમાં નારગોલની વધુમાં વધુ લોકો મુલાકાતે આવે તેવા પ્રયાસ પણ થઇ રહ્યા હતા જેમાં નારગોલ ડેપો શરૂ કરવાની તજવીજથી પર્યટનક્ષેત્રે પણ એક નવી દિશા મળશે અને લોકોને વધુ સુવિધા પ્રાપ્ત થશે.
ભાસ્કર નોલેજ:વલસાડમાં ગોગો પેપર વેચાણ પર આકસ્મિક તપાસ, પાનના ગલ્લેથી જથ્થો મળતા કાર્યવાહી
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા યુવાધનને નશાના ખપ્પરમાં હોમાઇ જતાં રોકવા માટે બજારોમાં નશાયુક્ત ગોગો પેપરના વેચાણ સામે પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે જિલ્લા પોલીસે વલસાડ શહેરમાં 8 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ખાતે એક પાનના ગલ્લાં પરથી ગોગો પેપર મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર રાજ્યમાં ગૃહ ખાતા દ્વારા ગોગો પેપરના વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર થયેલો છે.તેના ગેરકાયદે વેચાણને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ પોલીસે વલસાડ શહેરમાં પોલીસની ટીમને આકસ્મિક ચેકિંગના આદેશ આપતાં પોલીસ સક્રિય થઇ ગઇ હતી.પોલીસ ટીમે પાનના ગલ્લાં,ઓનલાઇન ડિલિવરીના સ્ટોરેજ સ્થળે ચેકિંગનો સપાટો બોલાવતાં સંચાલકો, દૂકાનદારોમાં ભારે ફફટાડ પેસી ગયો હતો. પોલીસની ટીમે પાનના નાના મોટા ગલ્લાંઓ પર પહોંચી વેચાણની ચીજવસ્તુઓને ફંફોસી ગોગો પેપરની તપાસ હાથ ધરી હતી,જેમાં ધરમપુર ચોકડી પર આવેલા એક પાનના ગલ્લાં પરથી પ્રતિબંધિત ગોગો પેપર મળી આવતાં પોલીસે સંચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં 6 મહિના સુધીની કેદરાજ્ય સરકાર ગૃહ વિભાગ, ગાંધીનગરના જાહેરનામું ક્રમાંક જીજી/164/2025 તા. 16-12-2025 મુજબ ચરસ, ગાંજા જેવા નશીલા પદાર્થો માટે ઉપયોગમાં લેવાતા GOPRO અને સમાન સ્મોકિંગ રોલિંગ પેપર માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે. આ જાહેરનામાનો ભંગ કરવો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ ગુનો છે. જેમાં એક મહિના સુધીની કેદ અથવા દંડ, અને જાહેર સ્વાસ્થ્યને જોખમ થાય તો છ મહિના સુધીની કેદ અથવા દંડ થઈ શકે છે.સરકારે હાલમાં જ ગોગો પેપર પર વેચાણ પ્રતિબંધ મુક્યો છે.
હસીન શેખવલસાડમાં મુખ્ય રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મોગરાવાડી,અબ્રામ ઝોનના 25 હજારની વસતીમાંથી આવતા મુસાફરોને ઉપયોગી 250થી 300 ફુટની લંબાઇનો ફુટ ઓવર બ્રિજ છે,પરંતુ તેનો વપરાશ કરવામાં આ બ્રિજ મુસાફરો માટે હજુ પણ થાક અને હાંફ ચઢાવે તેવી સ્થિતિનું નિર્માણ કરે છે.જેથી મુસાફરો તેનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યાં છે. આ બ્રિજ રેલવે ટિકિટ બારી પાસેથી બે દાદર મૂકવાની સુવિધા ન હોવાથી ટૂંકા માર્ગેથી ચઢીને વેસ્ટમાં રેલવેના પ્લેટફોર્મ પર પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઘણીવાર રેલવેની સુવિધાની રજૂઆતોમાં કોઇ નક્કર પરિણામના અભાવે મુસાફરો ટલ્લે ચઢી રહ્યાં છે. લંબાઇ 200 ફુટથી વધુ હોવાથી મુસાફરોને પ્લેટફોર્મ નં.1,2,3 ઉપર જવા માટે હાંફ ચઢી જાય તેવી મોકાણનો સામનો કરવો પડે છે. પ્લેટફોર્મ જવા માટે બ્રિજ બિનઉપયોગી ઇસ્ટ રેલવે ટિકીટ બારી પાસેથી દૂર સુધીના અંતરે ફુટ ઓવર બ્રિજ છે,જે ટ્રેન પકડવા જનારા મુસાફરો સમય પર જતાં હોય તેમને લાંબો બ્રિજ બોજ સમાન લાગે છે. જેથી મુસાફરો ટૂંકો માર્ગ અપનાવી બ્રિજ નીચેથી પસાર થઇ પ્લેટફોર્મ ઉપર પહોંચે છે. > હરેશ પટેલ,મુસાફર,અબ્રામા યાત્રીને ટ્રેન ચૂકી જવાનો ડર પૂર્વ દિશાના લાંબા ફુટ ઓવરબ્રિજને ચઢવાની માથાકૂટને લઇ મુસાફરો ભારે ચિંતામાં મૂકાતા હોય છે.કારણ કે લાંબો ફુટ ઓવરબ્રિજ ચઢવા માટે સમય વધુ ખર્ચાતા ટ્રેનો ચૂકી જવાનો મુસાફરોને સતત ટેન્શન રહે છે.જેથી મુસાફરો બ્રિજ ચઢવાના બદલે અન્ય વિકલ્પ પસંદ કરે છે.જો કે રેલવે સુવિધા પહેલાં કરતા સુચારું છે ત્યારે અન્ય પ્રશ્નો પણ ઉકેલાય તો મુસાફરોને રાહત થશે.> ઝાકિર પઠાણ,સ્થાનિક મોગરાવાડી તરફ અંતરલાંબું થઇ જતા મુશ્કેલીવલસાડ રેલવે સ્ટેશનના મુખ્ય વિસ્તાર સામે ઇસ્ટરેલવે યાર્ડ કોલોની,મોગરાવાડી અને અબ્રામાવિસ્તારના હજારો લોકોને લાંબા ફુટ ઓવર બ્રિજનજીકના સ્થળે બિલકુલ સામેના ભાગે ઉભો કરાયોહોત તો મુસાફરોને રાહત મળી હોત તેવો મત આજેપણ છે.પરંતું રેલવે તંત્ર દ્વારા જે બ્રિજ બનાવાયો તેમુખ્ય લોકેશનથી દૂરના અંતરે હોવાથી તેની લંબાઇવધી ગઇ હતી.આટલું લાંબુ બ્રિજ ચઢીને પછી ઉપરવધુ લાંબા સ્ટેજ પરથી પસાર થવાનું અને પછી જે તેપ્લેટફોર્મ પર નીચે ઉતરવાનું તે બધી કસરત બાદમુસાફરો નિર્ધારિત જગ્યા પર પહોંચી હાશ્કારો લે છે.
સાંસદે ગૃહમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા:VBG રામજી બિલને વલસાડ સાંસદે લાભદાયી ગણાવ્યું
નવી દિલ્હી ખાતે સંસદના નીચલા ગૃહ લોકસભામાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મહત્વકાંક્ષી ‘વી બી જી રામ જી’ (VBGRG) બિલને વલસાડ સાંસદે સમર્થન આપી ચર્ચામાં ભાગ લીધો હતો. સાંસદે આદિવાસી સમાજ અને અન્ય તમામ સમાજો માટે લાભદાયી હોવાનો મત પોતાના વ્યક્તવ્યમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલ પરની ચર્ચામાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે બિલનું પુરજોશમાં સમર્થન કર્યું હતું આ ઐતિહાસિક કદમ બદલ વડાપ્રધાન તથા કૃષિ મંત્રીનો આભાર માની જણાવ્યું હતું કે, આ બિલ દેશના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ, દલિત સમાજ અને અન્ય પછાત વર્ગો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. તેમણે કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસે આદિવાસી સમાજની વર્ષો સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી.ધવલ પટેલના આ ધારદાર સંબોધનને સંસદમાં બહુમતી સભ્યોએ પાટલી થપથપાવી વધાવી લીધું હતું.
લોકોમાં રોષ:જાળવણીના અભાવે ઉમરગામ શહેરમાં જાહેર શૌચાલયોને તાળાં, પાણીની પરબો બિનઉપયોગી
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલય તેમજ આરઓ પાણીની પરબ જાળવણીના અભાવે બિન ઉપયોગી બનતા પાલિકાએ જ તાળાં મારી રાખતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉમરગામ બીચ જેવા પર્યટન સ્થળે જાહેર શૌચાલયને તાળાં હોવાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકો, ખાસ કરી મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેઓ ખુલ્લામાં લઘુ શંકા કરવા જવા મજબૂર બન્યા છે, જે સ્વચ્છતા અને સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર બાબત ગણાય છે.તે જ રીતે લાખોના ખર્ચે ઉભા કરાયેલા આરઓ પાણીના પરબો હાલ માત્ર શોભાના ગાંઠ્યા સમાન બની રહ્યા છે. પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુકાયેલી આ સુવિધાઓ બંધ હાલતમાં હોવાથી નગરજનોને કોઈ ફાયદો મળી રહ્યો નથી. આ બાબતે સ્થાનિક નેતાઓ તેમજ કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પણ ચર્ચાનો વિષય બની છે. જનહિતના પ્રશ્નો અંગે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા નગરપાલિકાની કાર્ય પ્રણાલી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.નગરજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, નગરપાલિકા તાત્કાલિક આ લોકઉપયોગી સુવિધાઓ શરૂ કરી તેનું યોગ્ય સંચાલન અને નિયમિત જાળવણી સુ નિશ્ચિત કરે, જેથી જાહેર નાણાંનો સાચો ઉપયોગ થઈ શકે અને લોકોને રાહત મળે.પાલિકા દ્વારા સફાઈ માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં અનેક સ્થળે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.ભાજપ શાસિત ઉમરગામ પાલિકામાં કાયમ આયોજન અને સંકલનનો અભાવ જોવા મળે છે જેના કારણે ઉમરગામ શહેરમાં ખર્ચતા નાણાં સામે વિકાસ દેખાતો નથી.
સરપંચ પર હુમલો:ગુંદલાવના સરપંચને જૂની અદાવતે માર મારી કાર પર પત્થરથી હુમલો
વલસાડના ગુંદલાવ ગામના સરપંચ ઉપર ધોળે દિવસે બે ઇસમોએ તેમની કાર પર પત્થરમારો કરી નુકસાન પહોંચાડી સરપંચને માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં સરપંચને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સમગ્ર બનાવ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. વલસાડ તાલુકાના ગુંદલાવના સરપંચ નિતીનભાઇ પટેલ પોતાની દીકરીને દરરોજ સવારે ટ્યુશને મૂકવા માટે નિત્યક્રમ મુજબ કાર લઇને નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં ટ્રાફિક હોવાથી કાર ધીમી પાડતાં બે ઇસમોએ તેમની કાર પર પત્થર મારી કે પેવરબ્લોક મારી કાચ ફોડી નાંખ્યો હતો.જેને લઇ કારમાં બેઠેલા સરપંચે ઉતરીને તેની તરફ જતાં હતા ત્યારે હુમલો કરનારા બે ઇસમોએ તેમને ધક્કા મારી માર મારવાનું ચાલૂ કરી દેતાં અફરાતફરી મચી ગઇ હતી. અગ્રણીઓ અને આસપાસના લોકોએ દોડી આવતાં મામલો અટક્યો હતો. સરપંચ નિતીનભાઇને માથામાં ઇજા થતાં પારનેરાપારડી હાઇવે પર હીલ ફર્સ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી મીડિયા સમક્ષ નિતીન પટેલે આ મામલે જણાવ્યું હતું કે, હુમલો કરનાર પંચાયતમાં અરજીઓના દરેક જવાબો આપ્યા છતાં જૂદા જૂદા આક્ષેપો કરે છે. જેની જૂની અદાવત રાખી હુમલો કર્યો છે.ગુરૂવારે સવારે કાર લઇ દીકરીને સ્કુલે મૂકવા જતી વેળા ટ્રાફિકને લઇ કાર ઉભી રાખી ત્યારે હુમલો કરનારા ઇસમે કાર પર પત્થર મારતાં કારમાંથી નીચે ઉતરી બહાર નિકળતાં ઇસમોએ જૂની અદાવતમાં માર મારતાં માથામાં ઇચા પહોંચી હતી.આ ઘટનામાં ઇજા પામનાર સરપંચની સારવાર દરમિયાન ભાનમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક પંચાયત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં પીઆઇ એન.એસ.ગડ્ડુના જણાવ્યા મુજબ ગુંદલાવના સરપંચ અને બે શખ્સ વચ્ચે જૂની અદાવત ચાલતી આવી હતી.જેમાં ગુરૂવારે સવારે સરપંચ નિતીન પટેલ દીકરીને ટયુશને મુકવા જતાં હતા ત્યારે ઈસમોએ કાર પર પત્થર મારી તેમને માર માર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.
ફરિયાદ:ઘરકામ બાબતે મેણાટોણાં મારી પરિણીતાને માનસિક દુ:ખ આપ્યું
સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં સાસરીયાએ પરણિતાને ઘરકામ બાબતે મેણાટોણાં મારી માનસીક દુ:ખ ત્રાસ આપ્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પરણિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં રહેતા એકતાબેન પાર્થ બગસરીયા (ઉ.વ.24)એ તેના પતિ પાર્થ નરેન્દ્ર બગસરીયા, નરેન્દ્ર કાંતીભાઈ બગસરીયા અને આશાબેન નરેન્દ્ર બગસરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સાસરીયાએ ઘરકામ બાબતે મેણાટોણાં મારી માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પાર્થ બગસરીયાએ અવારનવાર ઝગડો કરી અપશબ્દો આપી ઘરેથી મહિલાને કાઢી મુકી હતી. મેણાટોણાં મારી માનસીક દુ:ખ આપવા બદલ અંતે મહિલાએ સાસરીયા વિરૂદ્ધ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ જીતેન્દ્ર રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ખાતમુહૂર્ત:ધારીના ખોખરા મહાદેવ મંદિર પાસે અઢી કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનશે
ધારી તાલુકાના ખોખરા મહાદેવ મંદિર પાસે વર્ષો જુનો પુલનો પ્રશ્ન ઉકેલાયો છે અને અહીં અઢી કરોડના ખર્ચે બનનારા પુલનું આજે ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું. ધારીના ખોખરા મહાદેવ મંદિર પાસે લાંબા સમયથી પુલની જરૂરિયાત હતી. આ અંગે ધારાસભ્ય કાકડિયા સુધી રજૂઆત ગયા બાદ તેમણે સરકારમાં રજૂઆત કરતા રૂપિયા અઢી કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું. આજે ધારીના આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કાકડિયાએ પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે કાર્યક્રમમાં ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રીતેશભાઈ શિરોયા તથા મુકેશભાઈ રૂપારેલિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા, તાલુકા ભાજપ મંત્રી ઉમેશભાઈ ધાધલ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ હિરાણી, વિજયભાઈ સાવલીયા, ગોબરભાઈ નકુમ તેમજ આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

23 C