બળવાખોરો સામે JDUની કડક કાર્યવાહી... પૂર્વ મંત્રી-ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી જનતા દળ યુનાઇટેડે (JDU) પક્ષમાં બળવો કરનારા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા તેના 11 બળવાખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી કામ કરતા હાંકી કઢાયા જેડીયુના સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ નેતાઓએ પક્ષની વિચારધારા, અનુશાસન અને સંગઠનાત્મક આચરણની વિરુદ્ધ જઈને કામ કર્યું છે. આ તમામ નેતાઓ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે અથવા અન્ય રીતે મેદાનમાં ઉતરીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે તેમને પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક નિલંબિત કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે.
રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:કાકા સાથેની માથાકૂટમાં 8 શખસો યુવાનને માર મારી અપહરણ કરી સુરેન્દ્રનગર લઈ ગયા
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ગોવર્ધન ચોક પાસે સુખસાગર શેરી નંબર 11 માં રહેતા 20 વર્ષીય ભાર્ગવભાઇ બચુભાઇ ઉર્ફે મૈયાભાઇ બોળીયાએ સુરેન્દ્રનગરના થાનના ઓઢીયાભાઇ સિંધવ, માંડણભાઇ મફાભાઈ જોગરાણા, દેવકરણભાઈ રઘુભાઇ જોગરાણા, અજયભાઇ ભુપતભાઇ જોગરાણા, વાલાભાઈ ભીમાભાઈ જોગરાણા, ગોપાલભાઇ કરશનભાઇ જોગરાણા, અજયભાઇ લખમણભાઈ જોગરાણા તથા એક અજાણ્યા શખ્સ સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાકા હરિભાઈ બોળીયાએ માંડણભાઈના બહેનને ઘરમાં બેસાડ્યા છે. જેનો ખાર રાખવામાં આવ્યો છે. ભાર્ગવભાઈ અને નાગજીભાઇ બોળીયા ગઈકાલે સાંજે 6 વાગ્યે રાજકોટના ખીજડીયા ગામની સીમમાં વાડીએ ગાયો દોતા હતા ત્યારે કારમાં 8 શખ્સો આવ્યા હતા અને લાકડી કુહાડી તથા ધારીયા વડે માર માર્યો હતો અને ભાર્ગવભાઈનું કારમાં અપહરણ કરી થાન ઓફિસે લઈ ગયા હતા. જ્યાં તેને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. કારખાનામાંથી રૂ.10 લાખની ચાંદીની ચોરીશહેરના મોરબી રોડ પર વેલનાથપરા શેરી નંબર - 16 માં રહેતા અને કુવાડવા રોડ પર શિવપરા શેરી નંબર-2માં કારખાનું ધરાવતા 34 વર્ષીય યોગેશભાઇ મનસુખભાઇ બહાપીયાએ કારખાનામાંથી અજાણ્યો શખ્સ રૂ.10 લાખની ચાંદી ભરેલા થેલાની ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ગત 20 જુલાઈના રાત્રીના સમયે કારખાનું બંધ હતું ત્યારે અજાણ્યો શખસ બારીની સ્ટોપર તોડી અંદર પ્રવેશ્યો હતો અને કારખાનામાં અંદર પડેલ રૂ.10 લાખની કિંમતની ચાંદી ભરેલો થેલો ચોરી ફરાર થઈ ગયો હતો. જે અંગે 24 ઓક્ટોબરના રાત્રિના સમયે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બીજા માળેથી પટકાતાં મજૂરનું મોત24 ઓક્ટોબરના રાત્રે 1 વાગ્યે શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર વિજયભાઈની સાઇડ પર 28 વર્ષીય ગણેશ બાલાસિંઘ સુતા હતા ત્યારે કોઈ કારણોથી બીજા માળેથી પડી ગયા હતા. જેથી માથા અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જોકે તબીબે જોઈ તપાસી યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતુ. બીજા બનાવમાં ભિમરાવનગર શેરી નં.19 માં નવદુર્ગા ચોકમાં રહેતા 52 વર્ષીય માયાબેન ભાસ્કરભાઇ આજે બપોરે 1.41 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે મહિલાનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતુ. જ્યારે ત્રીજા બનાવમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ સદર બજારમાં પંચનાથ પ્લોટ શેરી નં. 14માં પુજારા હાઉસ પાછળ નાલામાં 45 વર્ષીય અજાણ્યો શખ્સ કોઇ કારણોસર બેભાન હાલતમાં પડ્યો હોવાનું માલૂમ પડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યો હતો. જોકે, તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતુ.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી દેવળીયા પાસે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક પરિવાર પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. ગડુ ગામ નજીક એક સ્વીફ્ટ કારના બેદરકાર ચાલકે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વેરાવળના એક મહિલાનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. વેરાવળના રહેવાસી કુનાલભાઈ મહેશભાઈ પાલ દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારના પોણા અગિયારેક વાગ્યાના અરસામાં તેઓ તેમના માતા અનિતાબેન, પિતા મહેશભાઈ અને બહેન હેતલબેન સાથે ઓટો રિક્ષા (GJ-32-U-1718) ભાડે કરીને દેવળીયા પાસે ભૈરવદાદાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. આશરે બારથી સવા બાર વાગ્યાના અરસામાં ગડુ ગામ આગળ પેટ્રોલ પંપ પાસે પહોંચતા તેમની આગળ જઈ રહેલી સફેદ કલરની સ્વીફ્ટ કાર (GJ-32-AA-3391)ના ચાલકે બેદરકારીપૂર્વક, પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું. કારચાલકે ઓચિંતો વળાંક લેતા અકસ્માતકાર ચાલકે પેટ્રોલપંપ તરફ ઓચિંતાનો વળાંક (ટર્ન) લેતા તેમની ઓટો રીક્ષાના આગળના ભાગમાં જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઓટો રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી, જેના કારણે ઓટો રિક્ષામાં સવાર તમામ લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં કુનાલભાઈને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી, તેમના પિતા મહેશભાઈને માથાના ભાગે લોહી નીકળ્યું હતું અને બહેનને પણ સામાન્ય ઇજા થઈ હતી પરંતુ, કુનાલભાઈના માતા અનિતાબેનને ડાબા ગાલ પાસે બંને આંખોની આજુબાજુ, જમણા કાન પાછળ તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં મોઢા અને બંને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માત કરનાર કાર ચાલક અને તેમની સાથે રહેલા એક બહેન ઇજાગ્રસ્ત અનિતાબેનને લઈને ગડુ સરકારી દવાખાને ગયા હતા. જોકે, ત્યાં ગંભીર ઇજા જણાતા તેમને ચોરવાડ સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર સાહેબે અનિતાબેનને મરણ જાહેર કર્યા હતા. કુનાલના પિતા મહેશભાઈને પણ ઈજા થઈ હોવાથી તેમને સારવાર આપવામાં આવી છે.હાલ આ સમગ્ર મામલે ચોરવાડ પોલીસે કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઉદ્યોગપતિ સમીર શાહે પોતાના જન્મદિવસ પર દારૂની પાર્ટી અંગે અલથાણ પોલીસ સામે અનેક ખુલાસા કર્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે, જન્મદિવસની પાર્ટી માટે દારૂ તે પોતે દમણથી લાવ્યા હતા. પોલીસે આ નિવેદનની સચ્ચાઈ ચકાસવા માટે ક્રોસ-વેરિફિકેશન શરૂ કર્યું છે, કારણ કે નબીરા જૈનમની ધરપકડ બાદ કેસમાં મોટો વળાંક આવ્યો છે. PSI સાથે જૈનમની ઝપાઝપી બાદ મામલો હવે ગૂંચવાયોસુરતના વેસુ વિસ્તારની કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી કારમાંથી બીયરના ટીન મળી આવવાની ઘટના અને ત્યારબાદ PSI સાથે નબીરા જૈનમ સમીર શાહની ઝપાઝપીનો મામલો હવે ગૂંચવાયો છે. સતત બે નોટિસ બાદ પણ હાજર ન થતાં પોલીસે આખરે ભાઈબીજના દિવસે મોડી રાત્રે જૈનમની ધરપકડ કરી હતી. જૈનમ સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે, પણ હવે દારૂ ક્યાંથી આવ્યો તે મુદ્દે તપાસ કેન્દ્રિત થઈ છે. પાર્ટીનો વિવાદ અને પિતાનું નિવેદનવેસુ ખાતે સમીર મહેન્દ્ર શાહની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરેલી કારમાંથી થર્મોકોલના બોક્સમાં ઠંડા કરવા મૂકેલા 9 બીયર ટીન મળી આવ્યા હતા, જેને પગલે પોલીસે રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરી હતી. પોલીસે આ દારૂ અંગે જૈનમના પિતા સમીર શાહનું નિવેદન નોંધ્યું છે. સમીર શાહે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી છે, તે તપાસની દિશા બદલી શકે છે. તેમણે જણાવ્યું કે, હું જે દિવસે જન્મ દિવસ હતો તે દિવસે એટલે કે 16મી તારીખે સવારે બીયર લેવા માટે દમણ ગયો હતો અને ત્યાંથી બીયરના ટીન પાર્ટી માટે લઈને આવ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસને આરોપી દારુના મૂળ સપ્લાયરને બચાવતા હોવાની આશંકાપોલીસને સમીર શાહના આ નિવેદનની સત્યતા પર ગંભીર શંકા છે. કાયદેસર રીતે દમણથી દારૂ લાવીને પાર્ટીમાં ઉપયોગ કરવો એ ગેરકાયદેસર હોવા ઉપરાંત, પોલીસને શંકા છે કે શું સમીર શાહ દારૂના મૂળ સપ્લાયરને બચાવવા માટે આ કબૂલાત કરી રહ્યા છે? તપાસ અધિકારીઓ હવે આ નિવેદનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ તપાસના મુખ્ય પ્રશ્નોમાં સામેલ છે: જો સમીર શાહના આ નિવેદનમાં અસત્ય જણાશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. નબીરા જૈનમની ધરપકડ અને 'ફોટો' વિવાદઆ દરમિયાન પોલીસે ધરપકડ બાદ શુક્રવારે સવારે બુટ-ચંપલ વગર જૈનમ શાહને ઘટનાસ્થળે લઈ જઈને રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જૈનમે તેના નિવેદનમાં જણાવ્યું કે, કાર લઈને બહાર નીકળતી વખતે કોઈકે તેનો ફોટો પાડ્યો હોવાથી તેને ગુસ્સો આવ્યો અને તેથી તેણે યુવક સાથે અને બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ સાથેની ઝપાઝપીનો વીડિયો વાયરલ થયા બાદ, મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચતા ત્રણ દિવસ પછી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે જૈનમની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે અને પિતા-પુત્રના નિવેદનોના આધારે દારૂના નેટવર્કની સાચી હકીકતો બહાર લાવવા માટે તજવીજ ચલાવી રહી છે.
અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:દિવાળીની રજામાં પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી 14.88 લાખ ચોરી ગયા
નવરંગપુરામાં આવેલી કમલા સોસાયટીના વિજય વિલા બંગ્લોમાં રહેતા સન્ની દેવનાની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ શાહપુરમાં વાહનોના સ્પેરપાર્ટ્સનો વેપાર કરે છે. ગત તા.20મીએ તેમના ભાઇ ભાભી વેકેશન માણવા ગોવા ગયા હતા. જ્યારે સન્નીભાઇ તેમના માતા પિતા સાથે ઉજ્જૈન ખાતે મોસાળમાં તહેવારની ઉજવણી કરવા ગયા હતા. રોકડ સહિત 14.88 લાખથી વધુની મતા ચોરી કરી હતીજ્યાંથી ગત તા. 24મીએ પરત આવ્યા ત્યારે ઘરના મુખ્ય હોલમાં સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી તેમણે ઘરના બેડરૂમમાં તપાસ કરતા દરવાજાના ઇન્ટરલોક તુટેલા હતા. બેડરૂમમાં પણ સામાન વેર વિખેર હતો અને તીજોરીના દરવાજા ખુલ્લા હતા. તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા.તસ્કરોએ ધાબેથી પ્રવેશ કરીને ચાર રૂમોમાંથી પાંચ લાખ રોકડા સહિત સોના હીરા અને ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 14.88 લાખથી વધુની મતા ચોરી કરી હતી. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફટાકડા લઇને બંને બાઇક પર ઘરે જતા અકસ્માતનો ભોગ બન્યામૂળ પશ્ચિમ બંગાળનો 30 વર્ષીય પીયૂષ રતમ કિર્તનિયા ગત તા.21મીએ તેની મિત્ર સાથે બાઇક પર ફટાકડાની ખરીદી કરવા ગયો હતો. ફટાકડા લઇને બંને બાઇક પર ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે મોટેરા તરફ જતી વખતે પીયૂષે અચાનક બાઇકની બ્રેક મારતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પીયૂષ અને તેની મિત્ર રોડ પર પડતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં પીયૂષનું સારવાર દરમિયાન મોત થતાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. ગોમતીપુરમાં રહેતો 22 વર્ષીય મોહમદ ફરદીન શેખ ગત તા.24મીએ રાત્રે મિત્રો સાથે બહાર ગયો હતો. મોડી રાત્રે કોઇ બાઇકચાલકે વટવા કેનાલ નજીક ઝરણા પાર્ટી પ્લોટની સામે અકસ્માત કરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે કોળી સમાજનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરંપરા, સંસ્કાર અને સંકલ્પનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં સમાજે એકતા અને ઉન્નતિના માર્ગે નવી દિશા આપતા મહત્વના નિર્ણયો લીધા. સમારોહમાં દાગીના પ્રથા, કારજ અને વ્યસન જેવા કુરિવાજોને દૂર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સાથે જ, યુવાનો પોતાના માતા-પિતાના કહ્યા પ્રમાણે લગ્નમાં જોડાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ નિર્ણયો સાથે નવા વર્ષની શરૂઆત થઈ હતી. આ સ્નેહમિલન સમારોહમાં હડદડ ગામે નિર્દોષ લોકો પર થયેલા અત્યાચારનો મુદ્દો પણ ઉછળ્યો હતો. ઉપરાંત, આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે પણ રણનીતિ ઘડવામાં આવી હતી. કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના સમાજના સરપંચો, આગેવાનો, શિક્ષણ ક્ષેત્રના યોદ્ધાઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર વાત એ રહી કે જિલ્લા બહારના કોળી સમાજના કોઈ મંત્રી, ધારાસભ્ય કે સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ નિર્ણય પાછળનું કારણ એ હતું કે જિલ્લામાંથી જ નેતૃત્વ પસંદ કરીને ગાંધીનગર મોકલવાનો સંકલ્પ લેવાયો છે. હડદડ ગામે થયેલા નિર્દોષ લોકો પરના અત્યાચાર અંગે બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોળી સમાજ આ અત્યાચાર ક્યારેય ભૂલશે નહીં અને તેને સાખી લેવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું હતું કે, સમય આવે તેનો જવાબ આપવામાં આવશે અને જે લોકોએ લાઠીચાર્જ કર્યો છે તેમજ જે લોકોએ ઓર્ડર આપ્યો છે, તેમનું લિસ્ટ તૈયાર કરીને જાહેરમાં મૂકી જડબાતોડ જવાબ આપવામાં આવશે.
રાજકોટમાં દિવાળીના તહેવારોમાં છેલ્લા 5 દિવસમાં છઠ્ઠી હત્યા થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયાનું ચિત્ર સામે આવ્યુ છે. શહેરના મનહરપુરમાં ઘંટેશ્વર 25 વારિયા ક્વાટરમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાન વિજય સોલંકીને સરાજાહેર એક શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. જે બાદ તાબડતોબ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકના કાકા દ્વારા આરોપીના ઘરે ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ મૃતક વિજયને વેંચવા આપ્યો હતો. જોકે આ ચોરી વિજયે કર્યાની શંકાએ આરોપી ધર્મેશે પત્ની સુમિત્રા ઉર્ફે ગુડ્ડી સાથે મળી હત્યા નિપજાવ્યાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં આજે ઘંટેશ્વર 25 વારિયા ક્વાટરમાં રહેતા વિજય ચુનીભાઈ સોલંકીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. ધર્મેશ નામના શખ્સે પોતાની પત્ની સાથે મળી યુવાનને ગળાના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જેથી આ યુવાનના ગળામાંથી વધુ લોહી વહી ગયુ હતુ. ગંભીર રીતે ઘાયલ વિજયને હોસ્પિટલે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન પણ કરવામાં આવ્યો હતો જોકે યુવાન હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેને દમ તોડી દીધો હતો. મૃતક વિજયના કાકા ભરત મનજી સોલંકીએ 6 મહિના પહેલા આરોપી ધર્મેશના ઘરે સોનાનો કંદોરો સહિતની ચોરી કરી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ કાકાએ ચોરીનો મુદ્દામાલ ભત્રીજાને વેંચવા આપ્યો હતો. જે ચોરી વિજયે કર્યાની શંકાએ ધર્મેશ અને તેની પત્નીએ વિજયનું છરીના ઘા મારી હત્યા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરમાં દિવાળીના તહેવારોમાં હત્યાની વધુ એક ઘટના બનતા ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સરાજાહેર હત્યા કરી નાખવામાં આવતા યુવાનના પરિવારજનો ચોધાર આંસુએ રડતા નજરે પડ્યા હતા. જોકે આ હત્યાથી પોલીસની આબરૂના લીરેલીરા ઊડી ગયા છે. પોલીસ પેટ્રોલિંગ અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે પોલીસની ધાક ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કાળી ચૌદશના દિવસે ત્રિપલ મર્ડરથી શરૂ થયેલો સિલસિલો યથાવત રહ્યો છે અને આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 'મારા મિત્રને કેમ ઠપકો આપ્યો?' જેવી સામાન્ય અદાવતમાં સગીરની કરપીણ હત્યા કરનાર કુખ્યાત સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે. જોકે, ધરપકડ સમયે ગેંગના મુખ્ય બે સભ્યો ફ્રેક્ચરની પટ્ટીઓ બાંધીને હાજર થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેઓ નાટક કરી રહ્યા છે કે કેમ, તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતીભેસ્તાનના ભીંડી બજાર સ્થિત ઓલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ સનસનાટીભરી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોહેલના મિત્ર શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આ જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી. હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે? તેમ કહીને ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે શકીલનું ઘટનાસ્થળે જ કરપીણ મોત નીપજ્યું હતું. ગેંગના ત્રણ મુખ્ય સભ્યો ઝડપાયાઆ હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તાત્કાલિક ચાર ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. અંતે, ભેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓ— સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી, ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અન્સારીની ધરપકડ કરી છે. જોકે, પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી, આરોપી શાહરૂખ અન્સારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ છે. જ્યારે બીજા આરોપી ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલે જણાવ્યું કે, તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેને ઈજા થઈ છે. આ લસ્સી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા, તેનાથી પોલીસને તેમની ઉપર સંપૂર્ણ શંકા ગઈ છે. સારવારની ફાઈલના આધારે તપાસ કરીશુંઆ અંગે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે, હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બે આરોપીઓએ ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું છે. તેમની સારવાર સંબંધિત તમામ ફાઈલો અમે તાત્કાલિક મંગાવી લીધી છે. અમે ફાઈલના આધારે તપાસ કરીશું કે તેમાં કેટલી સત્યતા છે. બારથી વધુ ગુનાઓનો ઇતિહાસઆરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ગંભીર છે. મુખ્ય આરોપી સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી પર સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બાર જેટલા ગુના દાખલ છે. ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર ચાર ગુના અને અન્ય આરોપી અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર પણ બે ગુના દાખલ છે. રસપ્રદ વાત એ છે કે, આ મામલે ફરિયાદી સોહેલ ગુલામ શેખ પર પણ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નવ ગુના દાખલ છે.ચાર ટીમોની મહેનત બાદ આ કુખ્યાત ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને ફ્રેક્ચરની બાબતે પોલીસ ક્રોસ વેરીફિકેશન કરીને સત્ય બહાર લાવવા માટે તજવીજ ચલાવી રહી છે.
મોરબીમાં જલારામ જયંતિએ શોભાયાત્રા સમિતિની જાહેરાત:૨૯ ઓક્ટોબરે દરિયાલાલ મંદિરથી નીકળશે શોભાયાત્રા
મોરબીમાં શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા બુધવાર, ૨૯ ઓક્ટોબરે બપોરે ૨:૩૦ કલાકે શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિરથી શરૂ થશે. શોભાયાત્રા નહેરુ ગેઈટ ચોક, શાક માર્કેટ, ગાંધીચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, સરદાર બાગ અને અયોધ્યા પુરી રોડ થઈને જલારામ મંદિર ખાતે સમાપ્ત થશે. આ શોભાયાત્રા અંગે માહિતી આપવા માટે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. સમિતિએ જણાવ્યું કે શહેરમાં ઠેરઠેર શોભાયાત્રાનું સ્વાગત અને જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે. બાપા સીતારામ ચોક ખાતે સુપ્રસિદ્ધ કલાકારોના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતીનું આયોજન કરાયું છે. સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે. નગર દરવાજા ચોક અને નવા બસ સ્ટેશન ખાતે આતશબાજી પણ કરવામાં આવશે. શોભાયાત્રામાં નાસિક ઢોલ, જલારામ બાપાનો રથ, ડી.જે., લાઈવ રોટલા પ્રસાદ, તેમજ રામ દરબાર, શિવ દરબાર અને જલારામ બાપા તથા વીરબાઈ માઁનો વેશ ધારણ કરેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર કરાયેલા રોટલાને પૂ. વીરબાઈ માઁના રથમાં રાખીને શોભાયાત્રા દરમિયાન પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે નિલેશ ખખ્ખર, ભરત રાચ્છ, જીતુ રાજવીર, પરેશ કાનાબાર, જીતુ પુજારા, કેતન પુજારા, સંજય ભોજાણી, નિલેશ રાજા, ભાવિન ખંધેડિયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. સમિતિએ શહેરના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રામાં જોડાવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.
સોમનાથ મંદિરે આખલાઓનો આતંક યથાવત:પ્રવેશદ્વાર સામે આખલા યુદ્ધ, ભક્તોની સુરક્ષા જોખમમાં, તંત્ર મૌન
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ફરી એકવાર આખલાઓનો આતંક જોવા મળ્યો છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ આખલા યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાતા યાત્રિકો અને ભક્તોમાં ભય અને ભાગદોડ મચી ગઈ હતી. શિંગડા ભરાવી ફરતા આખલાઓથી યાત્રિકોના જીવને જોખમ સર્જાયું હતું. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે આખલાઓ નિરાંતે યાત્રિકો તરફ દોડી આવતા હતા, જેના કારણે નાના બાળકો અને વયસ્કોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. અનેક ભક્તોએ પોતાનો જીવ બચાવવા મંદિરના પ્રવેશદ્વારથી દૂર ભાગવું પડ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે યાત્રાધામ માટે આપેલી સુવિધાઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. નગરપાલિકા તંત્ર અને સ્થાનિક વહીવટના બેદરકાર વલણ પર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા ભાવિકો અને સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે કે સોમનાથ ધામને તાત્કાલિક 'આખલા મુક્ત ઝોન' જાહેર કરવામાં આવે. ભક્તોની સુરક્ષા માટે કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે.હાલ આ મામલે તંત્ર મૌન છે, પરંતુ આ ઘટના ફરી એકવાર વહીવટની નબળી વ્યવસ્થા અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સોમનાથ જેવા આદ્ય જ્યોતિર્લિંગ ખાતે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ તંત્રની પ્રથમ ફરજ હોવી જોઈએ તેવી જનમાનસની સ્પષ્ટ માંગ છે.
નર્મદામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દિવાળી વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસી આવ્યા છે, દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે અને અત્યાર સુધી પાંચ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા હતા, ગઈકાલે શુક્રવારે એક દિવસે 65000 કરતા પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા અને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત જંગલ સફારી રિવર રાફ્ટિંગ સહિત અનેક પ્રવાસન સ્થળો પસંદ કરી રહ્યા છે. આજે પણ 55 હજાર પ્રવાસી મુલાકાત લીધી હતી. 2,15,000 કુલ પ્રવાસીઓ પાંચ દિવસમાં આવ્યા હતા. જ્યારે આખા વેકેશન દરમિયાન 5 લાખ પ્રવાસીઓ નર્મદા નોંધાયા છે. સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળી માં પ્રવાસીઓ માટે અહીંયા બસથી લઈને અન્ય સગવડો પણ ઉભી કરાઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓએ લાંબી લાઈનો લગાવી છે અને દિવાળી બાદ વેકેશનમાં હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવી સંભાવના સેવાઈ રહી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વ્યુ ગેલેરી સહિત અન્ય પ્રવાસ સ્થળોનું પ્રવાસે ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગત વર્ષનો રેકોર્ડ તોડયો છે જેમાં વર્ષ 2023માં 51 લાખ 20 હજાર પ્રવાસી આવ્યા હતા,જ્યારે વર્ષ 2024ના વર્ષે 58 લાખ 25 હજાર પ્રવાસીઓ આવી ચૂક્યા છે,વર્ષ 2018થી અત્યાર સુધી 2.75 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો અંદાજ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ની ઉજવણી થનાર હોય પ્રકાશ વર્ષ ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ રોશની અને સ્ટેચ્યુ જોવા પ્રવાસીઓનું આકર્ષણ જોવા મળ્યું હતું. તારીખવાર પ્રવાસીઓ 21 ઓક્ટોબર 25- 35,000 22 ઓક્ટોબર 25- 47,00023ઓક્ટોબર 25- 48,00024ઓક્ટોબર 25- 67,00025 ઓક્ટોબર 25- 55,000
વલસાડ નેશનલ હાઇવે પર વરસાદમાં ડામર રોડનું નિર્માણ:હાઇવે ઓથોરિટીની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
વલસાડમાં નેશનલ હાઇવે નંબર 48 પર ધોધમાર વરસાદ વચ્ચે ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિકોમાં હાઇવે ઓથોરિટીની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર ભારે વરસાદ ચાલુ હોવા છતાં ડામર પાથરવાનું કામ શરૂ કરાયું હતું. આ દ્રશ્યો જોઈને લોકોએ કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. સામાન્ય રીતે, ડામર રોડના નિર્માણ માટે સૂકા હવામાનની જરૂર હોય છે જેથી ડામર યોગ્ય રીતે ચોંટી શકે અને રોડ લાંબા સમય સુધી ટકી શકે. વરસાદમાં કરાયેલું કામ રોડને ઝડપથી બિનઉપયોગી બનાવી શકે તેવી આશંકા સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે NHAIના સંજય યાદવે દિવ્ય ભાસ્કરની ટીમને જણાવ્યું હતું કે, મોતીવાળા પાસે NHAI ઉપર 300 મીટરના બિસ્માર રોડ પર ડામર કામગીરી ચાલી રહી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી અને મશીનમાં નાખેલો ડામર પાથરી દેવો પડે તેમ હતો, અન્યથા તે ડામર ફેંકી દેવો પડત. આથી કોન્ટ્રાક્ટર દ્વારા ડામર પાથરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યાદવે ખાતરી આપી છે કે, આગામી દિવસોમાં જો આ જગ્યા પર કોઈ ટેક્નિકલ ખામી સર્જાશે તો તાત્કાલિક ડામર કામગીરી ફરીથી કરવામાં આવશે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જાખાના ગામના પરમાર વંશજોએ વિક્રમ સંવત 2082ના નવા વર્ષથી ગામ અને સમાજના સુધારા માટે 11 નીતિ-નિયમો જાહેર કર્યા છે. આ નિયમોમાં દારૂબંધી, નશાકારક પદાર્થો પર પ્રતિબંધ અને લગ્ન પ્રસંગોના આયોજન માટેના કડક નિયમોનો સમાવેશ થાય છે. નિયમોનું પાલન ન કરનાર પરિવારો સમસ્ત પરમાર ભાઈઓ દ્વારા નક્કી થયેલ દંડ ભરવા માટે માતાજીના સોગંધ સાથે પ્રતિજ્ઞા લીધી છે. આ નિયમો અંતર્ગત ગામમાં દારૂ પીવા, વેચાણ કરવા અને નશાની હાલતમાં પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગો દરમિયાન પણ દારૂ પીવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાવણામાં ડેડા (ઘોલડાં), અફીણ, બીડી, સિગારેટ જેવા નશાકારક પદાર્થોને સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. તેના બદલે લીંબુ શરબત, જ્યુસ, ડ્રાયફ્રુટ્સ અને મુખવાસ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.લગ્ન પ્રસંગે વરઘોડો અથવા રાસ-ગરબા બંનેમાંથી કોઈ એક જ કાર્યક્રમ રાખી શકાશે અને તેની સમય મર્યાદા વધુમાં વધુ ત્રણ કલાક નક્કી કરાઈ છે. આ ઉપરાંત, પ્રસંગોમાં રૂપિયાની 'ઘોર' કરવી નહીં કે રૂપિયાની નોટો હવામાં ઉડાડી લક્ષ્મી દેવીનું અપમાન ન કરવાની પણ પ્રતિજ્ઞા લેવાઈ છે. કલાકારોને પ્રસંગ પૂરો થયા બાદ સમાજના ભાઈઓ નક્કી કરે તે મુજબ ઉચ્ચક રકમ હાથોહાથ આપવાનો પણ નિયમ બનાવાયો છે.ગામના વિકાસના કામોમાં એકસૂત્રતા જાળવવા માટે ગામની વિકાસ સમિતિ દ્વારા નક્કી કરેલ જરૂરી કામો પ્રથમ કરવા અને હિસાબ ભાઈઓ સમક્ષ રજૂ કરવા પર ભાર મુકાયો છે. વિધવા માતાઓ અને બહેનોને રેશનકાર્ડ, વિધવા સહાય અને જમીનના પ્રશ્નો જેવા કામોમાં સામે ચાલીને મદદ કરવાનો અને તેમના પ્રશ્નો વિકાસ સમિતિ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. કોઈપણ પ્રસંગ દરમિયાન નાચવા-કૂદવા પર રાજપૂતી મર્યાદા જાળવવાની અને પેઢીઓમાં શૌર્ય વધારવા માટે તલવારબાજી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા પર ભાર મુકાયો છે. ધંધા અર્થે એકબીજાને મદદ કરવા તેમજ પ્રસંગોમાં સમાજના લોકોને જ રોજગારી મળે તેને પ્રાથમિકતા આપવાનો નિયમ ઘડાયો છે.આ નિયમોના અમલ અને દેખરેખ માટે ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં વ્યસન મુક્તિ સમિતિ, વિકાસ સમિતિ અને હિસાબ સમિતિનો સમાવેશ થાય છે. વચન આપ્યા બાદ ફરી જવું તે રાજપૂતોને શોભતું નથી, તેવી નોંધ સાથે કુટુંબના માતા, પિતા, પુત્ર અને પુત્રવધૂની સહીઓ દ્વારા આ નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવાઈ છે.
વિરાર-સુરત શટલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ પર ચાર દારૂના તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અતુલ સ્ટેશન પાસે બની હતી, જેમાં મુસાફરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
IND vs AUS ODI Rohit Sharma and Virat Kohli Statement : ભારતીય ટીમે આજે (25 ઓક્ટોબર) સિડની ખાતે રમાયેલી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. મેચમાં રોહિત શર્માએ અણનમ 121 રન જ્યારે વિરાટ કોહલીએ અણનમ 74 રન નોંધાવીને ભારતને ભવ્ય જીત અપાવીએ છે. બંને દેશો વચ્ચે કુલ ત્રણ વન-ડે રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલાએ પ્રથમ અને બીજી વન-ડે મેચ જીતીને શ્રેણી પોતાને નામે કરી છે. રોહિત-કોહલીની જોડીને જોવા ભીડ ઉમટી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા, કેમ કે રોહિત-કોહલીની દિગ્ગજ જોડીનો ઓસ્ટ્રેલિયાનો આ છેલ્લો પ્રવાસ હોવાની સંભાવના છે.
લાંબા સમયથી ચાલી રહેલી આકરી ગરમી અને બફારા વચ્ચે શનિવારે સુરત શહેરનું હવામાન અચાનક પલટાઈ ગયું હતું. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતાં, શહેરના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ખાસ કરીને ડુમસ બીચ અને વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ બદલાયેલા માહોલે ગરમીમાંથી રાહત આપી, પરંતુ દરિયાકાંઠે ફરવા આવેલા લોકો, અન્નદાતા ખેડૂતો અને માછીમારો માટે ચિંતાના વાદળો સર્જ્યા છે. વેસુમાં રાહત, ડુમસ પર અફરાતફરીશહેરના વેસુ વિસ્તારમાં બપોર બાદ કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું. ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન સુરતવાસીઓને આ વરસાદથી ત્વરિત ઠંડક અને રાહત મળી હતી. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ખુશનુમા ઠંડક પ્રસરી હતી. બીજી તરફ, સુરતના પ્રખ્યાત દરિયાકાંઠાના વિસ્તાર ડુમસ બીચ પર નજારો જુદો હતો. વરસાદની શરૂઆત થતાં જ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. અચાનક હવામાન બદલાતા અને વરસાદનું જોર વધતાં ડુમસ બીચ પર ફરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પવન અને વરસાદથી બચવા માટે લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળોની શોધ આદરી હતી. દરિયા કિનારે આવેલી નાની-મોટી દુકાનો અને લારીઓના ઓટલા પર મોટી સંખ્યામાં લોકોએ શરણ લીધું હતું. ખુલ્લામાં મૂકેલો સામાન પવન અને પાણીમાં તણાય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અને એલર્ટસુરતની સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. શનિવારે વલસાડ, નવસારી, બિલીમોરા અને સંઘપ્રદેશ દમણમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ગુજરાતના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય પર તોફાની વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સજાગ રહેવા સૂચના અપાઈ છે. ગંભીરતાના ભાગરૂપે, દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ સૂચવે છે કે દરિયાકાંઠે હવામાન ખરાબ થવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે, માછીમારોને તેમની બોટોને સુરક્ષિત સ્થળે લાંગરી દેવા અને આગામી બે દિવસ સુધી દરિયામાં જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતો પર મુસીબતના વાદળો છવાયાશહેરીજનો માટે રાહતરૂપ સાબિત થયેલો આ કમોસમી વરસાદ, ખેતી ક્ષેત્રે ગહન ચિંતા જગાવી રહ્યો છે. આ વરસાદ એવા સમયે વરસ્યો છે જ્યારે ખેડૂતો કાં તો શિયાળુ પાકોની વાવણીની તૈયારી કરી રહ્યા છે અથવા તૈયાર પાકને કાપણી માટે તૈયાર કરી રહ્યા છે. અચાનક વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાની અને ખાસ કરીને તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. જો વરસાદી માહોલ વધુ દિવસો સુધી લંબાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. હાલમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને હવામાન પર નજર રાખી રહ્યા છે. સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને સલાહ આપવામાં આવે છે કે આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહીઓ પર ધ્યાન આપીને જ ઘરની બહાર નીકળવું અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવું.
પાટણમાં બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત:ક્રાઇમ બ્રાન્ચના PSIની સમયસૂચકતા છતાં જીવ બચાવી ન શકાયો
પાટણના સંખારી ત્રણ રસ્તા નજીક એક માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું છે. પૂરઝડપે જઈ રહેલું મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાસ્થળ નજીકથી પાટણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એસ. બી. સોલંકી તેમની સરકારી જીપમાં પસાર થઈ રહ્યા હતા. અકસ્માત જોતા તેમણે તાત્કાલિક ઘાયલ યુવકને પોતાની જીપમાં લીધો અને સારવાર માટે હોસ્પિટલ તરફ રવાના થયા. PSI સોલંકીએ તરત જ '108' એમ્બ્યુલન્સને જાણ કરી હતી. રસ્તામાં જ ઘાયલ યુવકને સરકારી જીપમાંથી '108' એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યો, જેથી તેને ઝડપથી તબીબી સહાય મળી શકે. જોકે, '108' ના ડ્રાઇવર જયરાજ સિંહના જણાવ્યા અનુસાર, યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમરેલી જિલ્લાની પ્રથમ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત લોન ટેનિસ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ટેનિસ કોર્ટ અમરેલી પોલીસ દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવ્યું છે.DGP વિકાસ સહાયે તેમના પરિવાર સાથે આ ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકાર્પણ બાદ તેઓ પોતે ટેનિસ રમતા જોવા મળ્યા હતા, જેનાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા PI અને અન્ય પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કર્યા હતા.આ ઉપરાંત, DGPએ અમરેલીના SP સંજય ખરાત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમરેલી જિલ્લા પોલીસ તંત્રની વર્તમાન સ્થિતિ, કર્મચારીઓ અને અધિકારીઓ સંબંધિત માહિતીઓ મેળવી ચર્ચા કરી હતી.આ પ્રસંગે અમરેલી SP સંજય ખરાત, IPS જયવીર ગઢવી, DYSP ચિરાગ દેસાઈ, DYSP અશોક સિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત અને સન્માન કર્યું હતું.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ:ઉમરગામમાં બે ઇંચ, ખેડૂતોને પાક નુકસાનની ભીતિ
વલસાડ જિલ્લામાં બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો હતો. બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધીના ચાર કલાકમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 42 મિલીમીટર (બે ઇંચ) વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદ અને પવનને કારણે ખેડૂતોને ઉભા પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. પારડી તાલુકામાં 11 મિલીમીટર, કપરાડા તાલુકામાં 27 મિલીમીટર (એક ઇંચ), વાપી તાલુકામાં 18 મિલીમીટર, વલસાડ તાલુકામાં 8 મિલીમીટર અને ધરમપુર તાલુકામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ઉમરગામ, વાપી, ધરમપુર, કપરાડા, પારડી, વલસાડ સહિતના તાલુકાઓ અને તેમના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદને કારણે જિલ્લામાં એકસાથે ત્રણ ઋતુઓનો અનુભવ થયો હતો, જે સામાન્ય રીતે જોવા મળતો નથી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ નજીક એક માર્ગ અકસ્માતમાં જીપડાલાના ચાલકનું મોત થયું છે. આજે બપોરે પુલ પરના ડિવાઈડર સાથે જીપડાલું ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક ચાલકની ઓળખ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચરોતર ગામના 27 વર્ષીય વિપુલકુમાર રમણભાઈ પટણી તરીકે થઈ છે. તેઓ પાલનપુરથી કલર કામની લાપીની બેગો ભરીને હિંમતનગર તરફ આવી રહ્યા હતા. આ અકસ્માત હિંમતનગરથી દેશોતર સ્ટેટ હાઇવે પર ઇલોલ પાસે ધાવરી નદી પરના ઓવરબ્રિજ પર થયો હતો. જીપડાડું ઓવરબ્રિજના ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાયું હતું, જેના કારણે વિપુલકુમારને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા 112 ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં કમોસમી વરસાદ:ખાંભા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાકને નુકસાનની ભીતિ
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગની આગાહી બાદ ઉત્તર ગુજરાત પછી હવે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા છે. ખાંભા શહેર સહિત ગીર કાંઠાના દિવાના, સરાકડીયા, નાનુડી અને દાઢીયાળી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે ચોમાસુ મગફળી, કપાસ અને તુવેર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે પાણી ભરાયા હતા. વડિયા-કુંકાવાવ વિસ્તારમાં પણ છૂટાછવાયા ધીમીધારે વરસાદી ઝરમર ઝાપટા નોંધાયા હતા.
અમદાવાદના બોપલમાં આવેલા ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 13 વિદેશની નાગરિક સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પાર્ટી ઝડપાતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં નશાનો બેરોકટોક કારોબાર ચાલતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. યુવાનોને નશાના રવાડે ચલાવવા માટે સુનિયોજિત ખેત ચાલતો હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. નશાની આડમાં ધકેલાતા યુવાનોને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા ચમબંધીઓને પકડવામાં આવે એવી કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીશ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક તરફ દિવાળીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. લોકો સંકલ્પ લેતા હોય છે કે, ગુજરાત સહિત દેશવાસીઓનું ભલું થાય પરંતુ, ગાંધી, સરકારના ગુજરાતમાં બેરોકટોક નશાનો કારોબાર ચાલી રહ્યો છે. નવા વર્ષમાં વ્યસનમુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ યોજાઈ રહી છે. ગુજરાતના યુવાનોને નશાની આડમાં ધકેલવાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલો આ એક ભાગ છે. રાજ્યમાં ઠેર-ઠેર રિસોર્ટમાં અને મોટા-મોટા ફાર્મ હાઉસમાં ગેરકાનૂની કામ ચાલે છે અને પોલીસે માત્ર સાક્ષી બને છે. ગુજરાતમાં અગાઉ પણ લાલ ડાયરી પકડાઈ હતી. જેમાં ડાર્ક વ્યક્તિ, અનેક મોટા અધિકારીઓના દીકરા અને દીકરીઓના નામ હતા. મોટાપાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય છે, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે છે. ભાજપની નીતિ અને નિયત ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહી છેવધુમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીશ દોશી જણાવે છે કે, જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય છે તેમાં દારૂના ટેન્કરની બેરોકટોક હેરાફેરી ચાલી રહી છે. જેમાં નાના લોકોને પકડીને પોલીસ પોતાની સ્વયં પીઠ થાબડે છે. સરકાર ગાંધી, સરદારના ગુજરાતમાં નશાના વેપલાને રોકવામાં નાકામ ગઈ છે. સરકાર ક્યારે જાગશે અને ક્યારે પગલાં લેશે ? ભાજપની સરકારમાં ખેડૂતો ન્યાય માંગે તો તેમને દંડા મારવામાં આવે, યુવાનો રોજગાર માંગે તો દંડા મારવામાં આવે ત્યારે અસમાજિક તત્વો માટે રેડ કાર્પેટ પાથરવામાં આવે છે. ભાજપની નીતિ અને નિયત ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહી છે. જેથી અમે માંગ કરીએ છીએ કે, ગુજરાતમાં નશાની આડમાં ધકેલાતા યુવાનોને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા ચમરબંધીઓને પકડવામાં આવે તો જ ગુજરાતમાં નશાની કારોબાર રોકાશે અને ગુજરાત પ્રગતિશીલ અને ગતિશીલ બનશે.
ઊંઝા-મહેસાણામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે ભારે પવન સાથે ઊંજા અને મહેસાણામાં વરસાદ નોંધાયો હતો. તો બપોર બાદ વેરાવળ, ગીર સોમનાથ અને સુરતમાં પણ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયાં હતા. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાલે 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા હજુ 2 દિવસ રાજ્યમાં વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નન લગાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફાર્મમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઇપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસે મોડીરાત્રે દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યાં હતાં. આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન બાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે આવવામાં આવ્યા હતા, જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામ આવ્યું હતું, જેમાં 6 મહિલા સામેલ છે. પોલીસની તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. આ પાર્ટીના પાસની કિંમત 700થી 15 હજાર રાખવામાં આવી હતી અને એનું નામ 'હોટ ગ્રેબર પાર્ટી' રાખવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસ માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતી એક્ટર સતીશ શાહનું નિધન 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' સિરિયલ ફેમ એક્ટર સતીશ શાહનું અવસાન થયું છે. પીઢ ગુજરાતી એક્ટરે કિડની ફેલ્યોરના લીધે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પોતાની કોમેડીથી તેમણે લોકોનાં દિલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે 'જાને ભી દો યારો', 'યે જો હૈ ઝિંદગી', 'હમ સાથ સાથ હૈ', 'મેં હૂં ના', 'બીવી હો તો ઐસી', 'ફના' સહિતની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'ખજૂરભાઈ'એ ચૂંટણી લડવાની તૈયારી કરી 'ખજૂરભાઈ' (નીતિન જાની) હવે રાજકારણના મેદાનમાં જોવા મળે તો નવાઈ નહીં. સોશિયલ મીડિયામાં વાઈરલ એક વીડિયોમાં ખજૂરભાઈ કહી રહ્યા છે કે, અત્યાર સુધી વિચાર કર્યો નહોતો પણ હવે લાગે છે કે 2027માં આપણે ઉતરવું પડશે. પોતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષિત લોકોને પણ રાજકારણમાં આવવા અપીલ કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદમાં યોજાનાર 'સૂર્યકિરણ' એર શો રદ્દ અમદાવાદમાં 'સૂર્યકિરણ' એરોબેટિક એર શોની રાહ જોઈને બેઠેલા લોકો માટે નિરાશાજનક સમાચાર છે. રિવરફ્રન્ટ પર રવિવાર, 26મી ઓક્ટોબરે યોજાનારો એર શો છેલ્લી ઘડીએ અમુક કારણોસર રદ કરવામાં આવ્યો છે. હવે આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ એર શો યોજશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વિશ્વના સૌથી ઊંચા ઉડતા પક્ષી સારસ જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂ ખાતે તાજેતરમાં મુલાકાતીઓ માટે ચાર સારસ પક્ષી (ક્રેન)ની બે જોડીને ખુલ્લી મુકવામાં આવી છે. આ પક્ષીઓ માત્ર તેમની 6 ફૂટ સુધીની વિક્રમી ઊંચાઈ માટે જ નહીં, પરંતુ જીવનભર એક જ સાથી સાથે રહેવાના અતૂટ બંધન માટે પણ પ્રખ્યાત છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સારસ પક્ષીની જોડીઓ આકર્ષણનું કેન્દ્ર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'દીપાવલી ફનફેર' મેળામાં બ્રેક ડાન્સ રાઈડ તૂટી રાજકોટ જિલ્લાના જેતપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે રોટરી ક્લબ દ્વારા આયોજિત 'દીપાવલી ફનફેર' મેળામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચાલુ બ્રેક ડાન્સ રાઈડ તૂટી પડતાં એક દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. ઘટના બાદ મેળામાં ગભરાટ અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ મેળાની રાઇડ્સની સુરક્ષા-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગીર-ગઢડામાં સિંહ પરિવારે રોડ બ્લોક કર્યો ગીર અને ગીર ગઢડા પંથકમાં સિંહોના રાત્રિ પેટ્રોલિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે. વધુ એક અદ્ભુત અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સૂમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહ પરિવાર નીકળતાં રોડ બ્લોક થયો હતો, જેના પગલે વાહનચાલકો થંભી ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ડાંગરનો પાક બચાવવા ખેડૂતો કલાકો ઊભા રહેવા મજબૂર હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગર ખરીફ પાકનો પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી, ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે. કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે, સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને જીનિંગ મિલમાં સ્ટોરેજ કરાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. ડાંગરનો પાક બચાવવા ખેડૂતો 18 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. જીનિંગ મિલ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
સોમનાથથી પરત ફરતા મુંબઈના પરિવારનો અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઈવે પર કાર ટ્રેલર અથડાઈ, 10 ઘાયલ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના છતડીયા ગામ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ દર્શન કરીને પરત ફરી રહેલા મુંબઈના એક પરિવારની કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈનો આ પરિવાર 10 સભ્યો સાથે કારમાં સોમનાથ દર્શન માટે આવ્યો હતો. દર્શન પૂર્ણ કર્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અમરેલી જિલ્લામાંથી પસાર થતા આ હાઈવે પર છતડીયા ગામ નજીક બ્રિજ ઉપર તેમની કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ટ્રેલરમાં ઘૂસી ગયો હતો અને ઈજાગ્રસ્તો થોડા સમય માટે ફસાયા હતા. ઘટના બાદ અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તમામ 10 ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રાજુલા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. હાલ ટ્રેલર અને કારને હાઈવે પરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે.
ગાંધીધામમાં SMCએ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી:મીઠી રોહર પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપી પકડાયા
ગાંધીધામના મીઠી રોહર ગામ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂની એક મોટી ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. સાઈલક્ષ્મી ફેક્ટરી પાસે ખુલ્લા મેદાનમાં ચાલતી આ ભઠ્ઠી પર દરોડા પાડી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ દરોડા દરમિયાન, પોલીસે કુલ 640 લિટર દેશી દારૂ અને 2200 લિટર દારૂ બનાવવાનો વોશ કબજે કર્યો હતો, જેની કુલ કિંમત ₹1,83,000/- થાય છે. આ ઉપરાંત, દારૂ બનાવવામાં વપરાતા 03 વાહન, 04 બોઈલર, 10 ગેસ સિલિન્ડર, 03 મોબાઈલ ફોન સહિત કુલ ₹4,91,440/-નો અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે: મુખ્ય આરોપી શિકંદર હુસેન જીજા, અસગર ગફુર બુચડ અને ઈમરાન ગફુર બુચડ. જ્યારે ગુલામ હુસેન જીજા નામનો એક આરોપી હાલ ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી પીએસઆઈ વી.એન. જાડેજા (એસ.એમ.સી.)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65 A,B,C,D,E,F, 81,83,98(2) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)(B), 111(3)(4) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SMCની આ મોટી કાર્યવાહીથી ગાંધીધામ વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધા કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે પણ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા, પરંતુ તે કાર્યવાહીમાં નાના પાયે દારૂ જપ્ત કરાયો હતો.
સાયલાના સુદામડા ગામે 31 ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ખેડૂતો સાથે ગામેગામ બેઠકો યોજાઈ રહી છે. મૂળી તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં આ લડતમાં જોડાય તે હેતુથી આ બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોમાં સાગરભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને, 27 ઓક્ટોબરે મૂળી ખાતે મામલતદાર કચેરીમાં હાજર રહેવા અને 31 ઓક્ટોબરે સાયલાના સુદામડા ગામે યોજાનારી ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં હાજરી આપવા માટે ખેડૂતોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. સાગરભાઈ રબારી, રામકુભાઈ કરપડા અને અન્ય ખેડૂત સંગઠનોના આગેવાનો ચોટીલા, મૂળી અને થાનગઢના ગામડાઓમાં ખેડૂતોને રૂબરૂ મળી રહ્યા છે. આ મહાપંચાયતનો મુખ્ય મુદ્દો બોટાદના હડદડ ગામે થયેલા કડદાકાંડ બાબતે પોલીસ દમનનો રહેશે. ભાવનગર જેલમાં રહેલા ખેડૂતોને તાત્કાલિક જામીન મળે અને તેમને ન્યાય મળે તેવી માંગણી આ પંચાયતમાં ઉઠાવવામાં આવશે.
રાજકોટમાં ચાલુ કારે ફટાકડા ફોડતી રીલ બનાવતા 3 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરમાં દિવાળીની રાત્રે લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી કારમાં નિકળતા યુવાને એક પછી એક સૂતળી બોમ્બ સળગાવ્યા હતા અને બાદમાં રોડ ઉપર ફેંકી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. જોકે તે ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ હેડ કોન્સ્ટેબલને ફરિયાદી બનાવવામાં આવ્યા હતા અને કાર નંબરના આધારે ત્રણેય નબીરાઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યુ હતુ. રાજકોટ શહેરમાં દિવાળીની રાતે 11 વાગ્યે નાનામવા રોડ પર લક્ષ્મીનગર અન્ડર બ્રીજમાં યુવાનો ચાલુ કારમાં ફટાકડા સળગાવી રોડ પર ફેંકતા હોય તેવો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કાર નંબરના આધારે શોધખોળ હાથ ધરવામાં આવતા 3 શખ્સો ઝડપાઈ જતા ત્રણેય વિરુધ્ધ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ફરિયાદી બન્યા હતા. જેમાં આરોપી તરીકે રોનક નરેશભાઇ જાદવ (ઉ.વ.19, રહે. રામરણુજા સોસાયટી-1 કોઠારીયા રોડ), વત્સલ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.20, રહે. સુર્યદેવ સોસાયટી-2, હુડકો ચોકડી, કોઠારીયા રોડ) અને ધર્મેશ પ્રભુદાસ ગોંડલીયા (ઉ.વ.21, રહે. શિવધારા સોસાયટી, કોઠારીયા રોડ) નું નામ છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગત તા.20 ઓક્ટોબરના દિવાળીની રાત્રે 11 વાગ્યે નાનામવા મેઇન રોડ ઉપર લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી એક કાર પસાર થઈ હતી. જેમાં બેસેલો યુવાન કારમાં ફટાકડા સળગાવી રસ્તા પર ફેંકતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કાર નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જેના આધારે પોલીસે ત્રણેય શખ્સો સામે કારમાં ફટાકડા સળગાવી રોડ પર ફેંકી લોકો માટે ભયજનક પરિસ્થિતિ ઉભી કરવા અને ગંભીર અકસ્માત સર્જાય તેવુ કૃત્ય કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ, આ કાર રોનક ચલાવતો હતો. વત્સલ વિડીયો ઉતારતો હતો. જોકે હાલ પોલીસે ત્રણેય મિત્રો સામે ગૂનો દાખલ કર્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે 26 ઓક્ટોબર સુધી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લાના ત્રણે મુખ્ય બંદરો ઘોઘા, અલંગ અને મહુવા ખાતે તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ દરિયામાં રહેલી બોટોને કિનારે પરત લાવવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા માવઠાની શરૂઆતઆજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 25 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 26 ઓક્ટોબરે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંદર પર સુરક્ષાના ભાગરૂપે તમામ માછીમારોને ચેતવણીભાવનગરના દરિયાકાંઠા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદર પર સુરક્ષાના ભાગરૂપે તમામ માછીમારોને ચેતવણી આપી છે. ખાસ કરીને ઘોઘા બંદર પરથી તમામ બોટો પરત બોલાવવામાં આવી છે અને બંદર વિસ્તારમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે. અને સામાન્ય નાગરિકોને પણ તટ વિસ્તારોથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ રીતે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ અને પવનના પ્રભાવને પગલે તંત્ર સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગોંડલ ખાતે યોજાયેલી દિવાળીની સભા એક અનોખા પ્રસંગની સાક્ષી બની. ભદ્રેશદાસ સ્વામીએ જાહેરાત કરી કે મહંત સ્વામીએ ગયા વર્ષે દિવાળીના દિવસે 10 હજારથી વધુ બાળ-બાલિકાઓ 'સત્સંગ દીક્ષા' ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ કરે તેવો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ એક વર્ષમાં જ સિદ્ધ થયો અને આજે 15 હજારથી વધુ બાળ-બાલિકાઓએ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે. આ સિદ્ધિ બદલ મહંત સ્વામી મહારાજે તમામ બાળ-બાલિકાઓ સહિત આ કામમાં સંકળાયેલા કાર્યકરો અને માતા-પિતાને શાબાશી આપી હતી. તેમણે આ નામાવલિને 'મારું મુખપાઠ મંડળ' નામ પણ આપ્યું. અક્ષર દેરીમાં નામાવલિનું પૂજન થયુંગયા વર્ષે દિવાળીની સભામાં મહંત સ્વામી મહારાજે આ તમામ બાળ-બાલિકાઓના નામોની નામાવલિનું પૂજન કરવાની અને તેને ગોંડલની અક્ષર દેરીમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની આ ઈચ્છા અનુસાર દિવાળીની સાંજે અક્ષર દેરીમાં વિધિવત રીતે નામાવલિનું પૂજન કરવામાં આવ્યું અને તેને ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજને તેમની અનુભૂતિ વિશે પૂછવામાં આવતાં તેઓ અત્યંત પ્રસન્નતા સાથે બોલ્યા, બધાએ કમાલ કરી છે. પછી બધાને શાબાશી આપી હતી. તેમણે નામાવલિના પુસ્તકને પોતાના શિરે મૂક્યુંઅને પછી તેને ભેટી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે આ પુસ્તક બધા સંતોના માથે મૂકવામાં આવે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેનું સભામાં પઠન થયું હતું. પત્રમાં તેમણે જણાવ્યું કે જો હું ભૂલ ન કરતો હોઉં તો આ એક વિશ્વ વિક્રમ છે કે 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના 15,000થી વધુ બાળકો સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક જ વર્ષમાં પૂર્ણ કરે. 'મિશન રાજીપો અભિવાદન મહોત્સવ'નું આયોજનમહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 15,666 બાળ-બાલિકાઓએ 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરીને આ અનોખો ઇતિહાસ સર્જ્યો છે. આ સિદ્ધિની ઉજવણી માટે 'મિશન રાજીપો અભિવાદન મહોત્સવ'નું આયોજન 29 ઓક્ટોબરના રોજ સાંજે ગોંડલ મંદિરમાં કરવામાં આવ્યું છે, જેમાં મહંત સ્વામી મહારાજ સૌ બાળ-વિદ્વાનોને વિશેષ રૂપે વધાવશે. મહંત સ્વામીના સેવક સંત ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું, મહંત સ્વામી ગ્રંથને આલિંગન આપીને ભેટ્યા, જેથી દરેક બાળકને વ્યક્તિગત રીતે ભેટ્યાનો લાભ મળ્યો. આદર્શ સ્વરૂપ સ્વામી અને નિર્મલવદન સ્વામીએ આ સમગ્ર સંકલ્પની પૂર્તિ અને મહંત સ્વામીની પ્રસન્નતા વિશે વિગતો આપી હતી. ભગવત્ સેતુ સ્વામીએ અક્ષર દેરીમાં થયેલા પૂજનનું વર્ણન કર્યું.
અમદાવાદના જમાલપુરમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની છે. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર નામના ફરિયાદીના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખી ગઈકાલે સવારે ફરિયાદી પુશાજી ઠાકોર અને તેના પરિવારને કાચના માછલી ઘર અને ઈંટના ટુકડા વડે માર મારવામાં આવતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૂની અદાવતનો દાઝ રાખી હુમલો કરવામાં આવતા સુરેશ ગેહલોત, સોનલ ભાટી, દુષ્યંત ગેહલોત અને મનીષા ગેહલોત સામે પુશાજી ઠાકોરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર નામના ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. નવા વર્ષના દિવસે રાત્રે ફટાકડા ફોડવા બાબતે પુશાજી ઠાકોરની સુરેશ ગેહલોત સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ માત્ર બોલાચાલી થયા બાદ મામલો શાંતિ પૂર્વક થાળે પાડતા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહતી. પરંતુ જૂની બબાલનો ખાર રાખી સુરેશ ગેહલોતના બહેન સોનલબેન ભાટી જગાડો કરવા માટે આવ્યા હતા. મારા ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો કહીને સોનલબેને ફરિયાદી પુશાજી ઠાકોરને બે લાફા ઝીંકી દીધા હતા. જે બાદ દુષ્યંત ગેહલોતે ઘરમાંથી કાચનું માછલીનું ફરિયાદીના માથાના ભાગે માર્યું હતું. જે દરમિયાન ફરિયાદીની ભત્રીજી છોડાવવા માટે વચ્ચે પડતા મનિષાબેન ગેહલોતે ઇંટનો ટુકડો કપાળના ભાગે માર્યો હતો. તેમજ ફરિયાદીનો દીકરો પિતાને છોડાવવા માટે જતા તેને પણ સુરેશ ગેહલોતે માર માર્યો હતો. તો દીકરાની પુત્રવધૂ પણ વચ્ચે પડતા તેને પણ સોનલબેને પેટના ભાગે માર્યો હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે. જે બાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મારામારીની ઘટનાને લઈને ફરિયાદીએ સુરેશ ગેહલોત, સોનલબેન ભાટી, દુષ્યંત ગેહલોત તેમજ મનીષા ગેહલોત સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામમાં પોણા બે ઇંચ વરસાદ:વાપી, ધરમપુર સહિત અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ઉમરગામ, વાપી, ધરમપુર, કપરાડા, પારડી અને વલસાડ સહિતના તાલુકાઓના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 37 mm (પોણા બે ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ધરમપુર તાલુકામાં 11 mm (અડધો ઇંચ) અને કપરાડામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. પવન સાથે પડેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદને લીધે વલસાડ જિલ્લામાં એકસાથે ત્રણ ઋતુઓનો અનુભવ થયો હતો.
નવસારીમાં પાછોતરો વરસાદ:શહેરમાં ઠંડક, ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં નુકસાનની ભીતિ
હવામાન વિભાગની આગાહી મુજબ, નવસારી શહેરમાં પાછોતરો વરસાદ શરૂ થયો છે. શિયાળાની શરૂઆતમાં થયેલા આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરીજનોને રાહત મળી છે. જોકે, આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં ડાંગરનો પાક કાપીને ખેતરોમાં પડ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ કાપણી બાકી છે. આ પાછોતરો વરસાદ ઊભા પાકને ભેજ લાગવાથી નુકસાન પહોંચાડી શકે છે.ડાંગર ઉપરાંત, શાકભાજી, ચીકુ અને કેરીના પાકને પણ આ વરસાદથી વ્યાપક નુકસાન થવાની આશંકા છે. ખેડૂતોને આકસ્મિક વરસાદથી પાક બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા પડી શકે છે.લાંબા સમયથી વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે ખેતીનો વ્યવસાય વધુ જોખમકારક બન્યો છે. અનિયમિત વરસાદ અને વાતાવરણીય પલટા ખેડૂતો માટે સતત પડકાર ઊભા કરી રહ્યા છે.
દમણમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા:નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પ્રમાણપત્રો અપાયા
દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે. દમણમાં 5 નવેમ્બરે પાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. દમણ નગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ વિજેતાઓમાં વોર્ડ નંબર 1માંથી મારિયો લોપેઝ, વોર્ડ નંબર 2માંથી નીલા રાણા, વોર્ડ નંબર 3માંથી રશ્મિ હળપતિ, વોર્ડ નંબર 4માંથી પ્રવિણાબેન રાણા, વોર્ડ નંબર 5માંથી સીતારામ ટંડેલ, વોર્ડ નંબર 8માંથી દીપિકા ટંડેલ, વોર્ડ નંબર 9માંથી સિમ્પલ ટંડેલ, વોર્ડ નંબર 10માંથી ભાવિક ટંડેલ, વોર્ડ નંબર 11માંથી મુકેશ પટેલ, વોર્ડ નંબર 13માંથી તમન્ના ખોજા, વોર્ડ નંબર 14માંથી પિયુષ પટેલ અને વોર્ડ નંબર 15માંથી ફિરદૌસ બાનુનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, દમણ જિલ્લા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. કડૈયા બેઠક પરથી હર્ષલ પટેલ, ભીમપોરથી મોક્ષિકા પટેલ, રીંગણવાડાથી ઈશ્વર પટેલ, વરકુંડથી સુનિતા હળપતિ, ઘેલવાડથી અશોક પટેલ અને કચીગામથી હંસા ઘોડીને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. પાલિકા કચેરી ખાતે પાલિકાના ચીફ ઓફિસર (CO) સંજામ સિંહના હસ્તે તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમાણપત્રો મેળવ્યા બાદ તમામ વિજેતા ઉમેદવારો આભાર વ્યક્ત કરવા માટે તેમના સર્ટિફિકેટ સાથે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ પરિણામોને આગામી 5 નવેમ્બરની ચૂંટણી પહેલા ભાજપ માટે એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહ્યા છે.
નવા વર્ષની શરૂઆતમાં દર વર્ષે ભાજપના નેતાઓ નુતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકો સુધી વધુમાં વધુ સંપર્ક કરવા માટે અમદાવાદ શહેર ભાજપ દ્વારા હવે વિધાનસભા મુજબ એક સ્નેહમિલન સમારોહની જગ્યાએ દરેક વોર્ડમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવા માટે સૂચના આપી છે. આવતીકાલે 26 ઓક્ટોબરના રોજ લાભ પાંચમના દિવસે અમદાવાદમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના વિધાનસભા વિસ્તારમાં આવતા વિરાટનગર અને ઓઢવ વોર્ડથી નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહની શરૂઆત થશે. શહેરના તમામ 48 વોર્ડમાં નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવા માટેની સૂચના આપીદિવાળીના તહેવાર બાદ નવા વર્ષની શુભેચ્છાઓને આપ-લે કરવા માટે દર વર્ષે દરેક વિધાનસભામાં એક નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવતું હોય છે. વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વોર્ડ અને વિસ્તારના નેતાઓ, કાર્યકર્તાઓ કોર્પોરેટરો વગેરે એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે મળતા હોય છે. ચાલુ વર્ષે રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા ચૂંટણી પહેલા શહેરના તમામ 48 વોર્ડમાં નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવા માટેની સૂચના આપી છે. સમારોહમાં 400થી 500 કાર્યકર્તાઓની હાજરી રહે તે મુજબ આયોજનઆવતીકાલ 26 નવેમ્બર લાભ પાંચમાના દિવસથી 10 નવેમ્બર સુધીમાં તમામ વોર્ડમાં નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજવા સૂચના આપી છે. સ્નેહમિલન સમારોહમાં 400થી 500 કાર્યકર્તાઓની હાજરી રહે, તે મુજબનું આયોજન કરવા જણાવ્યું છે. દરેક સ્નેહમિલનમાં જે-તે વિધાનસભાના ધારાસભ્ય અને શહેર ભાજપમાંથી એક નેતા વક્તા તરીકે હાજર રહેશે. અમદાવાદ શહેરમાં સૌપ્રથમ ભાજપનું સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના વિરાટનગર-ઓઢવ વોર્ડમાં નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજવાનો છે. સાંજે 5 વાગ્યે વિરાટનગર વોર્ડમાં અને સાંજે 7 વાગ્યે ઓઢવ વોર્ડમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલમાં ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, સાંસદ હસમુખ પટેલ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી રહે તેના માટેની સૂચના પણ આપવામાં આવી છે. શહેર ભાજપ તરફથી 10 નવેમ્બર સુધીમાં તમામ વોર્ડમાં નુતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજી દેવા જણાવવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ:હજી ત્રણ દિવસ વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો
રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહીના પગલે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.વાદળછાયા વાતાવરણને કારણે સ્થાનિક લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો. જોકે, દિવાળીના દિવસો બાદ પણ વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકો અને ખાસ કરીને ડાંગરના પાક પર નિર્ભર ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
આણંદના કુખ્યાત બુટલેગરની PASA હેઠળ અટકાયત:ગુનાહિત ઇતિહાસ ધરાવતા જાલમ પરમારને ભુજ જેલ મોકલાયો
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિક્ષકે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, આણંદ એલ.સી.બી. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં પકડાયેલા જાલમભાઈ ઉર્ફે જાલમો પુનમભાઈ પરમાર (રહે. જલાનગર, ચિખોદરા, આણંદ) વિરુદ્ધ પ્રોહીબિશન બુટલેગર તરીકે PASA હેઠળ અટકાયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર રાખી હતી. તેમણે પ્રોહીબિશન બુટલેગર જાલમભાઈ ઉર્ફે જાલમો પુનમભાઈ પરમારની પાસા હેઠળ અટકાયત કરીને તેને પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ ખાતે મોકલી આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશના અનુસંધાનમાં, આણંદ એલ.સી.બી. પોલીસે બુટલેગર જાલમભાઈ ઉર્ફે જાલમો પુનમભાઈ પરમારની PASA હેઠળ અટકાયત કરી તેને પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ ખાતે મોકલી આપ્યો છે.
ખેતીમાં સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચ અને જણસીના પોષણક્ષમ ભાવ ન મળવાથી ત્રસ્ત થયેલા જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. બાદલપુર ગામમાં શનિવારે એકત્ર થયેલા ખેડૂતોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે હવેથી તેઓ 50% વાવેતર ઘટાડી દેશે અને માત્ર ખાવા પૂરતું જ અનાજ ઉગાડશે. ખેડૂતોએ સરકારની સહાયને ભીખ ગણાવી આત્મનિર્ભર બનવા માટે ઉત્પાદન ઘટાડી પુરવઠો કાબૂમાં લેવાનું હથિયાર ઉગામ્યું છે. જાહેર સભાની મંજૂરી ન મળી, વાડીએ મીટિંગ યોજાઈબાદલપુર ગામના માજી સરપંચ અને ખેડૂત આગેવાન રમેશભાઈ ભીમાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની સભાનો મુખ્ય હેતુ એ હતો કે અમારી ખેતી નુકસાનીમાં જઈ રહી છે.આ નુકસાની કેવી રીતે ઓછી કરવી તે અંગે ચર્ચા કરવા અમે જાહેર સભા બોલાવી હતી,પરંતુ સરકારે પરમિશન ન આપી.પરમિશન ન મળતા અમે વાડીએ મીટિંગ કરી જેમાં સુરત, જામનગર, મોરબી અને માંગરોળથી પણ ખેડૂતો જોડાયા હતા. સૌએ ચા-પાણી પીને એક જ ચર્ચા કરી કે ભાઈ, આપણે 50% વાવેતર ઘટાડીએ. આનાથી આપણો ઉત્પાદન ખર્ચ આપોઆપ ઘટી જશે. આ નિર્ણય પર બધા ખેડૂતો સહમત થયા છે. 'સરકારની સહાય ભીખ છે,અમે ભિખારી નથી'ખેતી કેમ બંધ કરવી પડી રહી છે ? તેના જવાબમાં રમેશભાઈએ આક્રોશ ઠાલવતા કહ્યું કે નુકસાનીમાં કોઈ ક્યાં સુધી ટકી શકે ? વેપારીને નુકસાન જાય તો ધંધો બંધ કરે છે, અમે ખેતી બંધ કરીએ છીએ અથવા ઉત્પાદન ઘટાડીએ છીએ. સરકાર વર્ષોથી સહાય કરે છે, પણ આ સહાયે અમને લાલચુ અને ભિખારી બનાવી દીધા છે. મારો અંગત ઓપિનિયન છે કે સરકારની તમામ સહાયો ઠુકરાવવી જોઈએ.તેમણે વેધક સવાલ ઉઠાવતા કહ્યું આપણે 70 વર્ષથી ભીખ માંગીએ છીએ, હજી આપણી પેઢી માંગશે? આ ભિખારી વેળા છોડો. આપણા ભાથામાં હથિયાર છે. તેનો ઉપયોગ કરતા શીખો. ઉત્પાદન ઘટાડો, પુરવઠો ઘટાડો, ઓટોમેટિક ભાવ મળી જશે. કોઈને કહેવા પણ નહીં જવું પડે. બસ આ જ અમારો સંદેશો છે અને આ જ્યોતને અમે સમગ્ર ગુજરાતમાં આગળ વધારીશું. '20 મણ માંડવીએ 6000 વધે, એમાં શું કરવાનું ?'આ જ મીટિંગમાં હાજર અન્ય એક ખેડૂત ધીરુભાઈ ગજેરાએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું.તેમણે જણાવ્યું આજે વાડીએ રાખેલી મિટિંગમાં નક્કી કર્યું છે કે હવે અમારી જરૂરિયાત પૂરતું ખાવા પૂરતું જ વાવવાનું છે. અમને ખેતી પોસાતી જ નથી, કારણ કે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે.ખેતીનું અર્થતંત્ર સમજાવતા ધીરુભાઈએ મગફળીનું ઉદાહરણ આપ્યું.અમારી 20 મણ મગફળી પાકે, તો એનો ખર્ચો જ 14,000 રૂપિયા થાય છે. માંડ 20,000 રૂપિયા ભાવ આવે. આખા પાકમાં ખેડૂતના ભાગે ફક્ત 6,000 રૂપિયા વધે છે. હવે તમે જ કહો, 6,000 રૂપિયામાં ખેડૂતે શું કરવાનું ? ઘર કેમ ચલાવવું ? 'આવક ડબલ નહીં, પાયમાલ કરી નાખ્યા'ધીરુભાઈએ સરકાર પર સીધો પ્રહાર કરતા કહ્યું, કુદરત અમારી માથે રૂઠે, એના કરતાં સરકાર વધારે રૂઠે છે. સરકારે ખેડૂતો સામે ક્યારેય જોયું નથી. મોદી સાહેબે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું કહ્યું હતું, પણ ડબલને બદલે અમને પાયમાલ કરી નાખ્યા છે. જો સરકાર નહીં જાગે તો હવે ખેડૂત સરકાર બદલાવવાના નિર્ણય પર આવશે. ભારતીય કિસાન સંઘની પ્રોસેસિંગ યુનિટ બનાવવા ખેડૂતોને સલાહઆ મામલે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોડીયાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાની ઉપજના પૂરતા ભાવ ન મળતા હોવાથી તેઓ ખેતી છોડવાની વાત કરી રહ્યા છે. જુનાગઢ શહેરના આસપાસના 10 જેટલા ગામડાઓના ખેડૂતોએ ખેતી છોડવાનો નિર્ણય કર્યો છે.ખેડૂતોના આ નિર્ણય સામે ભારતીય કિસાન સંઘનું માનવું છે કે, જો ખેડૂતો ખેતી કરવાનું છોડી દેશે, તો દેશની સમૃદ્ધિ કેવી રીતે જળવાશે? દેશના લોકોને રોજિંદો ખોરાક પૂરો પાડવા માટે ખેતી ચોક્કસપણે કરવી જોઈએ, પરંતુ ભાવ ન મળવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડૂતોએ હવે નવી દિશામાં વિચારવું પડશે.સંયોજક મનસુખ પટોડીયાએ ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે એક નક્કર સૂચન આપ્યું છે કે ખેડૂતોએ માત્ર ઉત્પાદનકાર ન રહેતા, પ્રોસેસર અને વેચાણકર્તા પણ બનવું જોઈએ. ખેડૂતોએ તેમના ખેતરમાં જે ઉત્પાદન થાય છે, તેનું પ્રોસેસિંગ જાતે જ શરૂ કરવું જોઈએ.કિસાન સંઘના મતે, આની શરૂઆત નાના પાયે કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જે ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે, તેઓએ પ્રોસેસિંગ માટે નાના યુનિટો પોતાની જાતે ઊભા કરવા જોઈએ. મગફળીની ધાણી, મિલ કે અન્ય નાના એકમો બનાવીને મગફળીનું તેલ કાઢીને બજારમાં ખેડૂતોએ જ સીધું વેચાણ શરૂ કરવું જોઈએ. આનાથી વચેટિયાઓનો નફો સીધો ખેડૂતોને મળશે.
જૈનોનો જ્ઞાન પંચમી પર્વ કારતક સુદ-5, એટલે કે 26 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવાશે. આ દિવસે જૈન તત્વજ્ઞાન શાળા દ્વારા એક ઐતિહાસિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન ઝવેરીપાર્ક જૈન સંઘ દેરાસર સામે, નારણપુરા રેલ્વે ક્રોસિંગ પાસે, વિજયનગર મેટ્રો સ્ટેશન (પૂર્વ) નજીક આવેલી તત્વજ્ઞાન શાળામાં યોજાશે. આ પ્રદર્શન ફક્ત રવિવાર, 26 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 7:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં જ્ઞાનના અતિ પ્રાચીન ઉપકરણો, હસ્તલિખિત પ્રતો, પ્રાચીન ગ્રંથો, હાથીદાંત, સ્ફટિક અને રત્નોથી બનેલી પ્રભુજીની મૂર્તિઓ પ્રદર્શિત કરાશે. જ્ઞાનના વિવિધ ઉપકરણો પણ જોવા મળશે. પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય રામસૂરીશ્વરજી (ડહેલાવાળા) મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલતી આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસુરી જૈન તત્વજ્ઞાન શાળાના તત્વાધાનમાં આ પ્રદર્શન યોજાશે. પ્રદર્શનમાં ચોખાના દાણા પર પ્રભુજીની કોતરણી, ધર્મલાભ, હેપી બર્થ ડે, નવકાર મંત્ર જેવા શબ્દો, ચાંદીની પાદુકા અને હાથીદાંત પર કોતરેલા પ્રભુજીના વિવિધ પ્રસંગો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, સુખડના લાકડામાંથી કોતરેલી સરસ્વતી દેવીની તથા વિવિધ દેવ-દેવીઓની મૂર્તિઓ, તેમજ રુદ્રાક્ષ અને સ્ફટિક જેવા દ્રવ્યોથી બનેલી માળાઓ પણ પ્રદર્શિત કરાશે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કારતક માસના પ્રથમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવા વર્ષના પ્રથમ શનિવારે વહેલી સવારથી જ યાત્રાળુઓ દર્શનાર્થે આવવા લાગ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં માનવ મહેરામણ જોવા મળ્યું. હનુમાનજી દાદાના દર્શન માટે ભક્તોએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહી દર્શન કર્યા. સમગ્ર પરિસરમાં 'જય હનુમાન'ના નાદ ગુંજી ઉઠ્યા હતા, જે ભક્તિમય માહોલ સર્જી રહ્યા હતા. ભક્તોની ભારે ભીડને કારણે સાળંગપુર જતાં તમામ માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે બરવાળા પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ, જીઆરડી અને ટીઆરબીના જવાનો સતત ફરજ બજાવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા અને ભીડ સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિક અંગે પીઆઈ નવદીપ વસાવાએ અને યાત્રાળુઓના ઘસારા અંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ માહિતી આપી હતી.
દિવાળીના પર્વ નિમિત્તે સુરત શહેરના અનેક વિસ્તારો હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. વરાછા, કાપોદ્રા, મોટા વરાછા જેવા સૌરાષ્ટ્રવાસીઓની વસ્તી ધરાવતા વિસ્તારો તેમજ પરપ્રાંતીય શ્રમિકોની બહુમતીવાળા સચિન, પાંડેસરા, ડિંડોલી અને ઉધના જેવા વિસ્તારોમાંથી લાખો લોકો પોતાના માદરે વતન પહોંચી ગયા છે. આ પરિસ્થિતિનો લાભ લઈને ચોરી અને લૂંટની ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તમામ ખાલી વિસ્તારો પર 24 કલાક પોલીસની બાજ નજરસુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ વેકેશનના સમયમાં ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. સુરત મુખ્યાલય ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી હાલ તમામ ખાલી વિસ્તારો પર 24 કલાક બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં લગાવવામાં આવેલા 800થી વધુ CCTV કેમેરાની મદદથી હીરા બજાર, રિંગ રોડના કાપડ માર્કેટ્સ, ખાલી પડેલા કારખાનાઓ અને રહેણાંક વિસ્તારોના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. કંટ્રોલ રૂમમાંથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાતા તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અને પોલીસ પેટ્રોલિંગ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે. શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરંત કંટ્રોલરુમને જાણ કરવીCCTV સર્વેલન્સની સાથે-સાથે, વિવિધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સની આસપાસ પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના પોલીસ મથક અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી, જેથી સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય અને દિવાળીનો માહોલ શાંતિપૂર્ણ રહે.
ઝાલોદમાં કમોસમી વરસાદ:ચોમાસાની વિદાય બાદ વાતાવરણ પલટાયું, રોડ-રસ્તાઓ પર પાણી
ઝાલોદમાં ચોમાસાની વિદાય બાદ અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે. શનિવારે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી નગરજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્ચે આવેલા આ અણધાર્યા વરસાદે ચોમાસાની યાદ અપાવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી ઝાલોદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.તહેવારોની રોનક બાદ આવેલા આ માવઠાએ ધંધા-રોજગાર પર પણ માઠી અસર કરી છે. ખાસ કરીને, નાના વેપારીઓ અને રોજગારી મેળવનારાઓ માટે આ વરસાદ મુશ્કેલીરૂપ બન્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.આ કમોસમી વરસાદે શહેરનું વાતાવરણ ઠંડુગાર બનાવ્યું છે, પરંતુ તેની સાથે આવેલી અગવડતાઓએ ઝાલોદના રહેવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
SOGએ હિંમતનગરમાંથી ભાગેડુ આરોપીને પકડ્યો:પોશીના NDPS કેસમાં છ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો
સાબરકાંઠા SOG ટીમે હિંમતનગરમાંથી NDPS ગુનામાં છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતો. દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા માટે SOG ટીમને ATS ચાર્ટર હેઠળ કામગીરી કરવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે આ અંગે વિશેષ નિર્દેશો આપ્યા હતા. આ સૂચનાના આધારે, ઇન્ચાર્જ LCB PI ડી.સી. સાકરીયા અને SOG સ્ટાફ હિંમતનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પોશીના પોલીસ સ્ટેશનના NDPS ગુનાના નાસતા ફરતા આરોપી થાવરાભાઈ રાજાભાઈ બુબડીયા (ઉં.વ. 72, રહે. ધુબરી ફળી, વલસાડી, તા. પોશીના, જિ. સાબરકાંઠા) અંગે સંયુક્ત ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, SOG ટીમે હિંમતનગર ટાઉન હોલ આગળ ઇડર જતા હાઈવે રોડ પરથી આરોપી થાવરાભાઈ બુબડીયાને ઝડપી પાડ્યો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-35(1)(J) મુજબ તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
હળવદમાં શાંતાબેન સંઘાણીના 100 વર્ષ પૂર્ણ:પરિવારે જીવતા જગતીયાનું આયોજન કર્યું, ગામમાં ઉત્સવનો માહોલ
હળવદના ઘનશ્યામગઢ ગામે રહેતા શાંતાબેન જીવરાજભાઈ સંઘાણીએ તેમના જીવનના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની ઈચ્છા મુજબ, પરિવારે જીવતા જગતીયાનું આયોજન કર્યું હતું, જેમાં શાંતાબેનની હાજરીમાં જ વાજતેગાજતે ઉત્તરક્રિયા કરવામાં આવી હતી. આ અનોખા પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, વહેલી સવારે શાંતાબેનને ઘોડાગાડીમાં બેસાડીને ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં આખું ગામ જોડાયું હતું અને ગરબાની રમઝટ બોલાવી હતી. દિવસભર સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામગઢ ગામના આશરે 2500 લોકો અને સંઘાણી પરિવારના સબંધીઓ સહિત લગભગ 4000 જેટલા લોકોએ એક રસોડે પ્રસાદ લીધો હતો. શાંતાબેન જીવરાજભાઈ સંઘાણીના 100 વર્ષ પૂર્ણ થતાં ગામમાં શતાબ્દી મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, શાંતાબેનનો પરિવાર આજે પણ સંયુક્ત પરિવારમાં રહે છે અને તેઓ ચોથી પેઢી સાથે તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. તેમનો પરિવાર ગામમાં 'હજારીયા' પરિવાર તરીકે ઓળખાય છે, કારણ કે તેમના સસરા દેવશીભાઈ મોતીભાઈ સંઘાણી પાસે આશરે સવાસો વર્ષ પહેલાં એક હજાર રૂપિયા રોકડા હતા અને તેઓ ગામના જરૂરિયાતમંદ લોકોને વગર વ્યાજે મદદ કરતા હતા. સામાન્ય રીતે હિન્દુ સંસ્કૃતિમાં મૃત્યુ બાદ ઉત્તરક્રિયા અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે, પરંતુ આ પ્રસંગે શાંતાબેન સંઘાણીના જીવતા જગતીયા દ્વારા જીવનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઘનશ્યામગઢ ગામના તમામ લોકો અને સંઘાણી પરિવારના સગા-સંબંધીઓ જોડાયા હતા, જેના કારણે ગામમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
Rohit Sharma Century: ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માએ બેટિંગમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. 237 રનના લક્ષ્યનો પીછો કરતાં હિટમેને મેચ વિનિંગ શાનદાર સદી ફટકારીને ભારતને વિજય અપાવ્યો અને સાથે જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૌથી વધુ સદી ફટકારનાર પહેલો બેટર રોહિત શર્માએ 105 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આ સદી ફટકારી હતી, જે તેની કારકિર્દીની 33મી ODI સદી હતી. આ સદી સાથે જ તેના આંતરરાષ્ટ્રીય સદીઓની સંખ્યા 50 (ODIમાં 33, ટેસ્ટમાં 12, T20Iમાં 5) પર પહોંચી ગઈ છે.
શંખેશ્વર ખાતે વિશ્વા વિદ્યા સંકુલના નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે સંકુલના ટ્રસ્ટી મહેશભાઈ દેસાઈના પિતા સ્વર્ગસ્થ લાધુભાઈ દેસાઈની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું હતું. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર વઢિયાર પંથકમાંથી નાડોદા રાજપૂત સમાજ સહિત સર્વ વર્ણના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વા વિદ્યા સંકુલે ટૂંકા સમયમાં જ શંખેશ્વર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન અને નામના મેળવી છે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ (સાણંદ-વિરમગામ), બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડવાસણ ઝાડીના મહંત શ્રી, સમી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દેસાઈ, ભીખાભાઈ જાદવ, ભરતજી ઠાકોર, જેસંગભાઈ ચાવડા, શંકરભાઈ કટારીયા, શંકરભાઈ લકુમ, માનસિંહભાઈ પરમાર, અજમલભાઈ વાઢેર, હરિભાઈ રવદ, ડોક્ટર રામસિંહ રાજપુત, ભરતસિંહ સિંધવ, રાજુભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરના હરણી ખાતે આવેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતીકાલથી વિન્ટર શિડયુઅલ લાગુ પડશે. જેમાં કેટલીક ફલાઈટના સમયમાં ફેરફાર થયો છે તો કેટલીક વિકલી ફ્લાઇટ દૈનિક કરવામાં આવી છે. આ સાથે વડોદરાને ચેન્નાઈની વધુ એક ફ્લાઇટ ફાળવવામાં આવી છે, જે ખુશીની બાબત છે. આમ, વડોદરા એરપોર્ટ પર રોજ 10થી 12 ફ્લાઇટ આવતી હતી, જે હવે 15 ફ્લાઇટ આવશે અને જશે. નવા આવેલ ટાઇમ ટેબલમાં પાંચ ફ્લાઇટ છેઆ અંગે વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર એમ.એસ.આઈ. દાઉદે જણાવ્યું કે, આવતીકાલથી વિન્ટર શિડયુઅલ લાગુ પડશે. નવા આવેલ ટાઇમ ટેબલમાં પાંચ ફ્લાઇટ છે, જેમાં ડેઇલી દિલ્હીની ફ્લાઇટ શરૂ થઈ રહી છે. આ સાથે હૈદરાબાદ અને ગોવાની ફલાઇટ ડેઇલી કરવામાં આવી છે. તે સિવાય ચેન્નાઈની વિકલી ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં રોજની 15 ફ્લાઇટ આવવા-જવા માટે એરપોર્ટ પર મૂવમેન્ટ જોવા મળશે. ઇન્ટરનેશનલ એરલાઈન્સને ફ્લાઇટ પ્રમાણે રિબેટ આપવામાં આવશેવધુમાં જણાવ્યું કે, વડોદરા એરપોર્ટ પર રોજના 3500 મુસાફરોની અવરજવર થઈ રહી છે. વડોદરા એરપોર્ટ ડિસેમ્બર 2024થી ઇન્ટરનેશલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને છેલ્લા છ મહિનામાં ત્રણ વાર ઇન્ટરનેશનલ નોન શિડયુઅલ મૂવમેન્ટ થયું છે. વડોદરામાં આવનાર ઇન્ટરનેશનલ એરલાઈન્સને દરેક ફ્લાઇટ પ્રમાણે એક લાખ સુધીનું રિબેટ આપવામાં આવશે. માત્ર જૂજ એરક્રાફ્ટ અહીંયા લેન્ડ થઈ શકતા નથીવધુમાં કહ્યું કે, વડોદરા એરપોર્ટ પર પાર્કિંગનો કોઈ પ્રશ્ન નથી કેમ કે અહીંયા જગ્યા છે અને નવા એરક્રાફ્ટ પાર્કિંગ માટે જગ્યા છે. અમારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. વડોદરામાં ઇન્ટરનેશલ એરપોર્ટ હોવાથી એરક્રાફ્ટ અહીંયા લેન્ડ થઈ શકે છે. માત્ર જૂજ એરક્રાફ્ટ અહીંયા લેન્ડ થઈ શકતા નથી. અહીંયા ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ જે 180 કે 200 પેસેન્જરની કેપીસિટી છે તે અહીંયા લેન્ડિંગ થઈ શકે છે અને મોટા ભાગના તેજ એરક્રાફ્ટ વિદેશમાં જતા હોય છે.
ભાવનગરના અકવાડા ગામમાં આર્મી જવાન કલ્પેશ બારૈયા અને વિશાલ બારૈયાના ઘરે 16 ઓક્ટોબરની મોડી રાત્રે નજીવી બોલાચાલીએ હુમલાનું સ્વરૂપ લીધું. આ હુમલામાં ભોલું દરબારે આર્મીમેનના કાકાના દીકરા ઉત્તમને માથાના ભાગે ઇજા પહોંચાડી અને પરિવાર પર હુમલો કર્યો. આ ઘટનામાં પોલીસે આર્મીમેનના પિતા બાબુભાઈ, કાકા ઘૂઘાભાઈ, ઉત્તમ, કાકી દક્ષાબેન અને બહેન હેતલબેન સહિત 5ને જેલમાં મોકલી દીધા, જ્યારે ભોલુએ પણ ફરિયાદ કરી. આર્મી જવાનોએ 19 ઓક્ટોબરે વાયરલ વીડિયોમાં ન્યાયની અપીલ કરતા આજે સમાજના આગેવાનો, યુવાનો અને આર્મી જવાનોએ એસપી કચેરીએ ધરણા આપી રામધૂન બોલાવી. આરોપી વિશ્વદીપસિંહ (ભોલુ)ને તડીપાર કરવા, પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા અને ન્યાય માટે આવેદન પત્ર આપ્યું, જેના કારણે પોલીસની બેદરકારી પર સવાલો ઊભા થયા છે. આર્મીમેનના પરિવારને જેલમાં ધકેલી દેવામાં આવ્યાભાવનગર શહેરના અકવાડા ગામે રહેતા આર્મીમેન કલ્પેશ બાબુભાઇ બારૈયા લેહ લદાખમાં ફરજ બજાવે છે અને વિશાલ બારૈયા હિમાચલ પ્રદેશમાં ફરજ બજાવે છે. આર્મીમેનનો પરિવાર કાકાના દીકરા ઉત્તમભાઈ ઘૂઘાભાઈ બારૈયાના ધાર્મિક પ્રસંગમાં ગયો હતો. અહીથી પરત આવ્યા બાદ તેમના ઘર પર આવારા તત્વો દ્વારા તા.16 ઓક્ટોબર રાત્રિના ભોલુ દરબાર નામના શખસ દ્વારા સામાન્ય બોલાચાલી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની આ ઘટનામાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં આર્મીમેનના પિતા બાબુભાઇ રાણાભાઈ બારૈયા ઉંમર 48, તેમના નાના ભાઈ ઘૂઘાભાઈ રાણાભાઈ બારૈયા ઉંમર 44, ઉત્તમભાઈ ઘુઘાભાઈ બારૈયા ઉંમર 20, આર્મીમેનના કાકી દક્ષાબેન ઘૂઘાભાઈ બારૈયા ઉંમર 43, આર્મીમેન બેન હેતલબેન બાબુભાઈ બારૈયા ઉંમર 25ને જેલમાં ધકેલવવામાં આવ્યા છે આ ઘટનામાં અકવાડા ગામે રહેતા વિશ્વદીપસિંહ ઉર્ફે ભોલુભાઈ ગોહિલ એ પ્રથમ ઘોઘારોડ પોલીસ મથકમાં 2 મહિલા સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદીને તું શું પીવા બોલાવતો હતો તેમ કહી ભૂંડી ગાળો આપી. ઢીક્કાપાટુનો માર મારી ઈજાગ્રસ્ત કર્યો તેમજ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ફરિયાદ બાદ પોલીસે આ ગુન્હામાં આર્મીમેનના પિતા બાબુભાઇ રાણાભાઈ બારૈયા, તેમના નાનાભાઈ ઘૂઘાભાઈ રાણાભાઈ બારૈયા, ઉત્તમભાઈ ઘુઘાભાઈ બારૈયા, આર્મીમેનના કાકી દક્ષાબેન ઘૂઘાભાઈ બારૈયા, આર્મીમેન બેન હેતલબેન બાબુભાઈ બારૈયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બીજી તરફ આર્મીમેનના કાકાના દીકરા (ભાઈ) ઉત્તમભાઈ ઘુઘાભાઈ બારૈયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ભોલુ દરબાર નામના શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ મુજબ ઉત્તમભાઈ આખ્યાનની તૈયારી કરી ઘરે આવતા હતા. આ દરમિયાન ઘર પાસે પહોંચતા ભોલો દરબાર ફરિયાદી ઉત્તમભાઈના ઘર પાસે ઉભા હતા અને મારી સામે જોઈ કાતર કેમ મારે છો? તેમ કહી તીક્ષ્ણ હથિયારો વડે માર મારી કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. સમાજના આગેવાનોને મદદે આવવા અપીલ કરી હતીભારત દેશની સીમાડે રક્ષા કરતા અગ્નિવીર જવાન ના ઘરે મહિલા સહિત 5 શખસો દ્વારા હુમલો કરવામા આવ્યો છે, જેને લઈ અગ્નિવીર જવાને ફરજ પરથી તા.19 ઓક્ટોબરના રોજ સમગ્ર ઘટના અંગે પોતાના પરિવારની મદદ માંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો, જેમાં તેને સમાજના આગેવાનોને મદદે આવવા અપીલ કરી હતી અને ન્યાયની માંગ કરી હતી મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ ધરણા પર બેસી રામધૂન બોલાવી ન્યાયની માગ કરીજેમાં આજરોજ આર્મીમેનના ઘરે મોટી સંખ્યામાં સમાજના આગેનાવો અને સમાજના યુવાનો ભેગા થયા હતા અને આર્મીમેન ના પરિવાર સાથે જે ઘટના ઘટી છે. તેને ન્યાય મળે તે અંગે મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મોટી સખ્યામા લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ બાઈક રેલી સ્વરૂપે એસ.પી. કચેરી ખાતે સમગ્ર ઘટના અંગે ન્યાય મળે અને ફરિયાદ દાખલ કરવામા આવી છે. જેમાં બી.એન.એસ ની કલમ 332 ,75(2),118(2), 109 ઉમેરો કરવામા આવે. આરોપી વિશ્વદીપસિંહ ઉર્ફે ભોલુને તડીપાર અથવા પાસા તળે કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારી વિશ્વદીપસિંહને છાવરવામાં મદદ કરી છે, તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. વિશ્વદીપ સિવાયના અન્ય આરોપીઓના નામનો ઉમેરો કરવામાં આવે. આરોપીઓની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે તે અંગે માંગણી સાથે આજરોજ એસ.પી. કચેરી આવેદન પત્ર પાઠવવા આવ્યા. આ સમયે એસ.પી. નીતીશ પાંડે ઓફિસેથી રવાના થઈ ચૂક્યા હતા અને મોટી સંખ્યામાં આવેલ સમાજના આગેવાનો અને યુવાનો એસ.પી. ઓફિસ ખાતે ધરણા પર બેસી રામધૂન બોલી ન્યાય આપવાની માંગ કરી છે.
લંડન ડાયરામાં પાઉન્ડનો વરસાદ:લંડન ખાતેના દિવાળી ડાયરામાં યુવા કલાકાર સાગરદાન ગઢવી પર પાઉન્ડનો વરસાદ
રસિયો રૂપાળો, દ્વારિકાનો નાથ અને ગરબા ગુજરાતી ગીતો અને લોકગીતો ડોલવ્યા ગુજરાતના અને મૂળ કલાનગરી ભાવનગરના જાણીતા કલાકાર યુવા લોકગાયક સાગરદાન ગઢવીનો દિવાળી ડાયરાનું લંડન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લંડનના ગુજરાતીઓ અને અન્ય ભારતીયો સાથે લંડનના સ્થાનિક લોકોએ પણ આપણા ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યને મન ભરી ને માણ્યો હતો અને કલાકાર સાગરદાન ગઢવી ઉપર પાઉન્ડનો વરસાદ કર્યો હતો અને આપણી લોકસંસ્કૃતિ ને જાણવાનો અને નવી પેઢી સુધી પહોંચે તે પ્રયાસ કર્યા હતા. લંડનના ગુજરાતીઓ સાથે જ ભારતીય મૂળના લોકો અને લંડનના સ્થાનિકોએ પણ આપણી લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને મન ભરીને માણ્યો હતો, જેમાં રસિયો રૂપાળો, અમારા હાલ ના પૂછો અને દ્વારિકાનો નાથ અને ગરબા ગુજરાતી ગીતો અને લોકગીતો સાગરદાન ગઢવીના જોરદાર અવાજમાં લંડનના ગુજરાતીઓએ પોતાની ભવિષ્યની પેઢી સુધી પણ આપણી લોકસંસ્કૃતિ પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના સાગરદાન ગઢવીએ ગુજરાતના ખૂબ જ જાણીતા લોક ગાયક અને ડાયરાના કલાકાર છે,તેઓ ખાસ કરીને ગુજરાતી લોકગીતો, ભજનો અને ડાયરા માટે પ્રખ્યાત છે. તેઓ માતા મોગલને સમર્પિત ગીતો ગાવા માટે ખૂબ જાણીતા છે તેમના લોકપ્રિય ગીતોમાં મોગલ આવે, મોગલ છોરુ, મછરાળી મોગલ વગેરેનો સમાવેશ થાય છે, તેમણે અન્ય ધાર્મિક ગીતો અને ભજનો પણ ગાયા છે, જેમાં તે શિવ ભજન અને હનુમાન ચાલીસા ગાય છે, અને તેમને 'ડાંડિયા કિંગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દિવાળીના તહેવારો દરમિયાન સહેલાણીઓનો રેકોર્ડબ્રેક ધસારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય પૈકીના એક એવા આ ઝૂની મુલાકાત લેવા માટે માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેના કારણે માત્ર 4 દિવસમાં 53 હજાર કરતા વધુએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો છે. અને મનપાને રૂ. 11.50 લાખની આવક થઈ છે. હજુ આજે બપોર બાદ અને આવતીકાલે પણ રજાનો દિવસ હોવાથી આ સંખ્યા 60 હજારને પાર થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિન્દુ કેલેન્ડર મુજબ બેસતા વર્ષના દિવસથી લઈને આજ સુધીના ગણતરીના ચાર દિવસોમાં 53 હજારથી વધુ સહેલાણીઓએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લીધી છે. આ આંકડો ઝૂ પ્રશાસન માટે ખૂબ જ ઉત્સાહજનક છે, જે દર્શાવે છે કે આ વિશાળ પ્રાણી સંગ્રહાલય દિવાળીની રજાઓ ગાળવા માટે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગયું છે. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો પ્રદ્યુમન પાર્કની મુલાકાતે આવી રહ્યા છે. અને બીજીવાર આવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ઝૂના સુપરિન્ટેન્ડેન્ટ આર. કે.હીરપરાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં મુલાકાતીઓનો ધસારો અપેક્ષિત હતો, પરંતુ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યાએ પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બેસતા વર્ષના શુભ દિવસથી આજ સુધીમાં 53 હજાર કરતાં વધારે લોકોએ ઝૂની મુલાકાત લીધી છે. ઝૂ પ્રશાસને તહેવારો દરમિયાન વધેલા મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ તમામ જરૂરી વ્યવસ્થાઓ અને સુરક્ષાની તૈયારીઓ કરી લીધી હતી, જેથી સહેલાણીઓને કોઈપણ પ્રકારની અસુવિધા થાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રદ્યુમન પાર્ક ઝૂ ગુજરાતનું એકમાત્ર એવું પ્રાણી સંગ્રહાલય છે જે સૌથી વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલું છે. આ વિશાળ પ્રાણી સંગ્રહાલય 65 પ્રજાતિના 592 પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર છે. સહેલાણીઓ માટે અહીં અનેક વિશેષ આકર્ષણો છે. ખાસ કરીને એશિયાટિક સિંહ સફેદ વાઘ અને અન્ય દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓને જોવાનો અનુભવ પ્રવાસીઓ માટે સૌથી વધુ રોમાંચક રહે છે. જેને લઈને પ્રતિવર્ષ આ ઝૂની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ એ માત્ર મનોરંજનનું સ્થળ નથી, પરંતુ તે વન્યજીવ સંરક્ષણ અને જાગૃતિનું પણ એક મહત્ત્વનું કેન્દ્ર છે. અહીં આવતા સહેલાણીઓ પ્રાણીઓ વિશે માહિતી મેળવે છે અને પ્રકૃતિ સાથે જોડાણ અનુભવે છે. આ રેકોર્ડબ્રેક મુલાકાતીઓની સંખ્યા ઝૂની લોકપ્રિયતા અને રાજકોટ શહેરના પ્રવાસન ક્ષેત્ર માટે સકારાત્મક સંકેત છે. દિવાળીના તહેવારોએ રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂને ગુજરાતના નકશા પર એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે વધુ મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. આગામી સમયમાં સહેલાણીઓનો આ પ્રવાહ જળવાઈ રહે તેવી આશા છે. ઝૂની મુલાકાતે આવેલા ગોસ્વામી અનન્યાએ જણાવ્યું હતું કે, અમે ભાવનગર જિલ્લાના મહુવામાં રહીએ છીએ હાલ મારા મામા રાજકોટ રહેતા હોય તેમના ઘરે આવ્યા છીએ. પ્રદ્યુમન પાર્કમાં આવીને ખૂબ જ મજા આવી છે. અહીં ખાસ કરીને એશિયાટિક લાયન અને સફેદ વાઘને નજીકથી જોવાનો અનુભવ અદ્ભુત હતો. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતા સ્વચ્છતા ખૂબ સારી રીતે જાળવવામાં આવી છે અને પ્રાણીઓને પણ તેના કુદરતી રહેઠાણ જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. દિવાળીની રજાઓમાં પરિવાર સાથે ફરવા માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે. હું ફરીવાર પણ અહીં ફરવા માટે ચોક્કસ આવીશ. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ઝૂમાં મુલાકાતીઓની સુવિધા માટે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં સહેલાણીઓ માટે પીવાના પાણી, શૌચાલયની સગવડ, બેસવાની જગ્યાઓ રાખવામાં આવી છે. અને પ્રાણીઓ વિશે માહિતી આપતા બોર્ડ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ દિવાળીનાં તહેવારોમાં વધારાની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પણ ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે, જેના કારણે આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓના ધસારા છતાં સમગ્ર કાર્ય સરળતાથી પાર પડ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સઢા ગામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારે બીજો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે જિતેન્દ્ર શુક્લ અને અન્ય બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. સવારે મુખ્ય યજમાન નીતિન ગોર પરિવારના હસ્તે હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ થયો હતો. સાંજે લઘુરુદ્ર પૂર્ણ થયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટોત્સવને લઈને શિવાલયને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું.
વાંકાનેરમાં યુવાન અને મહિલાએ જીવન ટૂંકાવ્યું:પત્ની ન આવતા યુવાનનો, વતન જવાની ના મળતા મહિલાનો આપઘાત
વાંકાનેર તાલુકામાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઢુવા ગામ પાસે પત્ની માવતરેથી પરત ન આવતા યુવાને આત્મહત્યા કરી, જ્યારે સરતાનપર નજીક કારખાનામાં રહેતી મહિલાએ વતન જવાની પતિએ ના પાડતા જીવ ટૂંકાવ્યો હતો. પોલીસે બંને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ મિલેનિયમ સિરામિક અને વરમોરા સિરામિકની પાછળના ભાગમાં રહેતા કરણકુમાર વિનોદકુમાર કઠેરિયા (ઉંમર 32) નામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કરણકુમારની પત્ની તેના પિતાના ઘરે ગયેલી હતી. દિવાળીના તહેવારમાં કરણકુમારે ફોન કરીને પત્નીને પરત આવવા જણાવ્યું હતું, પરંતુ તે આવી ન હતી. આ બાબત મનોમન લાગી આવતા કરણકુમારે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ બનાવ અંગે તેના ભાઈ ગગનકુમાર વિનોદકુમાર કઠેરિયા (ઉંમર 22) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મૂળ મધ્યપ્રદેશના અને હાલ વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (ઉંમર 40) નામના મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક મહિલાના બાળકો વતનમાં હતા અને તેમને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવું હતું. જોકે, તેમના પતિએ થોડા સમય પછી વતનમાં જવાનું કહ્યું હતું. આ બાબત મહિલાને મનોમન લાગી આવતા તેમણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે કોમલસિંગ ધુલજીભાઈ વર્મા (ઉંમર 43) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું આપને ખબર છે કે પક્ષીઓમાં પણ એક પત્નીત્વ ધરાવતી પ્રજાતિ હોય છે ? જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂ ખાતે તાજેતરમાં મુલાકાતીઓ માટે ચાર સારસ પક્ષી (ક્રેન)ની બે જોડીને ખુલ્લી મુકવામાં આવી છે. આ પક્ષીઓ માત્ર તેમની 6 ફૂટ સુધીની વિક્રમી ઊંચાઈ માટે જ નહીં, પરંતુ જીવનભર એક જ સાથી સાથે રહેવાના અતૂટ બંધન માટે પણ પ્રખ્યાત છે. સારસ પક્ષીની જોડીઓ આકર્ષણનું કેન્દ્ર છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ આ અદભુત પક્ષીઓ વિશેની રસપ્રદ માહિતી આપી છે. સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ સારસ જોડીને નિહાળી શકશેસક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સક્કરબાગ ઝૂ ખાતે સારસનો ઉમેરો કરવામાં આવેલો છે. તેમના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. સારસના જે જૂના પિંજરા હતાં, તેમાં ફેરફાર કરી અને હવે તેમને મોટા, કુદરતી વાતાવરણ પૂરું પાડતા પિંજરામાં મૂકવામાં આવેલું છે, જેથી પ્રવાસીઓ તેને સારી રીતે નિહાળી શકે અને પક્ષીઓને પણ અનુકૂળ વાતાવરણ મળી રહે. 'સારસ ક્રેન' - કુંજ કે કરકરા વર્ગના પક્ષીઓડીસીએફ ઝાલાએ જણાવ્યું કે, સારસ વિશે વાત કરીએ તો, સંસ્કૃતનો એક શબ્દ છે 'સરસા', જેનો અર્થ થાય છે 'તળાવમાં રહેતું પક્ષી' (લેક બર્ડ). તેના પરથી 'સારસ' નામ આવ્યું છે. અંગ્રેજીમાં આને 'સારસ ક્રેન' કહેવામાં આવે છે. ક્રેન એટલે કુંજ કે કરકરા વર્ગના પક્ષીઓ. જોકે કુંજ અને કરકરા શિયાળામાં ઉત્તર ગોળાર્ધમાંથી ભારતમાં સ્થળાંતર કરે છે, પરંતુ સારસ એવું પક્ષી છે જે ઋતુ પ્રવાસ નથી કરતું. તે 'રેસિડન્ટ' એટલે કે સ્થાનિક પક્ષી છે. વિશ્વનું સૌથી ઊંચું ઉડતું પક્ષી સારસસારસ પક્ષીની સૌથી મોટી વિશેષતા તેની ઊંચાઈ છે. રાજદીપસિંહ ઝાલાના મતે, આ વિશ્વનું સૌથી ઊંચું પક્ષી છે કે જે ઊડી શકે છે. તેની લંબાઈ લગભગ 5થી 6 ફીટ જેટલી હોય છે અને પુખ્ત વયના પક્ષીનું વજન 8થી 9 કિલોગ્રામ સુધીનું હોય છે. સારસથી ઊંચા પક્ષીઓ, જેમ કે શાહમૃગ ઊડી શકતા નથી. આ પક્ષીઓ લાંબી ગરદન, લાંબા પગ અને આકર્ષક સફેદ-કાળા પીંછા ધરાવે છે. લાંબી પાંખોને કારણે તે આકાશમાં ઊંચે સુધી વિચરણ કરી શકે છે. વફાદારીનું પ્રતીક, આજીવન એક જ સાથીભારતીય સંસ્કૃતિમાં સારસ બેલડીનો પ્રેમ અતૂટ મનાય છે. આ પક્ષીઓ વફાદારીનું જીવંત પ્રતીક છે. ડીસીએફ ઝાલા આ અંગે કહે છે, સારસની એક ખાસિયત છે કે તે 'લોંગ લાસ્ટિંગ બોન્ડ્સ' (લાંબા ગાળાના બંધનો) બનાવે છે. જે આપણે માણસની સાપેક્ષમાં 'એક પત્નીવ્રતા' કે 'એક પતિવ્રતા' કહીએ, તેમ સારસ પણ લાઈફટાઈમ માટે જોડી બનાવે છે. એક નર પક્ષી એક જ માદા સાથે આખો જીવનકાળ નિભાવે છે. કદાચ કોઈ સાથીનું મૃત્યુ થાય, તો જ તે નવી જોડી બનાવે છે. આ 'મોનોગેમસ' નેચર (એકસાથી પ્રકૃતિ) માટે તે આપણા સાહિત્યમાં પણ બહુ પ્રખ્યાત છે. સારસને જળ સ્ત્રોતની આસપાસ રહેવાનું વધુ પસંદઆ પક્ષીઓ મુખ્યત્વે ભીના મેદાનો, ઘાસના મેદાનો અને કૃષિ ક્ષેત્રોમાં રહે છે. તેઓ જળ સ્ત્રોતની આસપાસ રહેવાનું વધુ પસંદ કરે છે. સારસ 'વેટલેન્ડ બર્ડ' છે, તેમ ઝાલા ઉમેરે છે, તે જનરલી 'ઓમ્નિવોરસ' એટલે કે મિશ્રાહારી કેટેગરીમાં આવે છે. તે પ્લાન્ટ ઓરિજિનની વસ્તુઓ જેમ કે વનસ્પતિના મૂળિયા, ટ્યુબર્સ (કંદમૂળ) પણ ખાય છે અને સાથે નાના કીટકો, જીવડાં અને કવચધારી જળચર જીવો એટલે કે ક્રસ્ટેશિયન્સ પણ ખાય છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારસ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છેભારતમાં ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં સારસની સારી વસ્તી છે. ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતના ચરોતર પ્રદેશ, અમદાવાદ, સુરેન્દ્રનગર, નડીયાદ અને આણંદ જિલ્લામાં સારસ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તેનું સાંસ્કૃતિક મહત્વ એટલું છે કે ઉત્તર પ્રદેશ રાજ્યએ સારસને 'રાજ્ય પક્ષી' તરીકેનું ગૌરવ આપ્યું છે. એટલું જ નહીં, ભારતના 14-સીટર પ્રોપેલર એરક્રાફ્ટનું નામ પણ 'સારસ' રાખવામાં આવ્યું છે. સારસ 'રેડ લિસ્ટ'માં 'સંવેદનશીલ' કેટેગરીમાં આવે છેએક અભ્યાસ મુજબ, સારસ પક્ષીનું આયુષ્ય 20 વર્ષ સુધીનું હોય છે. જોકે, આ ભવ્ય પ્રજાતિ હાલ ખતરામાં છે. ડીસીએફ ઝાલાના જણાવ્યા અનુસાર, ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ (પેસ્ટીસાઇડ્સ) તેના માટે સૌથી મોટો 'થ્રેટ' (ખતરો) છે. આ ઉપરાંત રખડું કુતરાઓ, સમળી, કાગડા અને શિકાર પ્રવૃત્તિ પણ તેની વસ્તી માટે જોખમી છે. રહેઠાણના નુકસાન અને માનવ-વન્યજીવન સંઘર્ષને કારણે IUCN દ્વારા સારસને 'રેડ લિસ્ટ'માં 'સંવેદનશીલ' કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. 'માદા સારસ સંવર્ધન બાદ 3-4 ઈંડાં મૂકે'આવી ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી પ્રજાતિને બચાવવા અને તેના સંવર્ધન માટે વન વિભાગ દ્વારા સહિયારા પ્રયાસો શરૂ કરાયા છે. સક્કરબાગ ઝૂમાં હાલ જે બે જોડી લાવવામાં આવી છે, તે આ સંરક્ષણ પ્રયાસોનો જ એક ભાગ છે. માદા સારસ સંવર્ધન બાદ 3-4 ઈંડાં મૂકે છે, જેનું જતન નર અને માદા બંને સાથે મળીને ખૂબ સારી રીતે કરે છે.
વેરાવળ-સોમનાથના વાતાવરણમાં પલટો:ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં ગરમી અને બફારાથી રાહત, ઠંડક પ્રસરી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ સહિતના વિસ્તારોમાં શનિવારે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી અનુભવાતી ગરમી અને બફારા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને નાગરિકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3 અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ સાથે ઊંચા મોજાં જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની શક્યતા છે અને પવનની ગતિ વધુ રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવધાન કરવામાં આવ્યા છે. અચાનક વરસેલા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારના સમયે તાપમાનમાં વધારો નોંધાયો હતો, જેના કારણે ભેજસભર બફારું વાતાવરણ હતું. જોકે, બપોર બાદ વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. વરસાદથી સોમનાથ મંદિર પરિસર અને દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. યાત્રાધામમાં આવતા ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વધારાના પાર્કિંગ અને યાત્રી સહયોગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 કલાક દરમિયાન વેરાવળ-સોમનાથ અને આજુબાજુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે.
વિક્રમ સવંત 2082 નું શરૂ થતા નવા વર્ષનું સ્વાગત કરવા કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ આજરોજ જનસંપર્ક કાર્યાલય શિવા બ્લેસિંગ વાઘાવાડી રોડ ખાતે રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે આગેવાનો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ સૌપ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન કરી ભાવનગર અને બોટાદ જિલ્લાના રહેવાસીઓને નવા વર્ષ નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન છે કે, વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુનો વધારે ઉપયોગ કરીએ. ત્યારે આપના માધ્યમથી અમે વડાપ્રધાનના આહ્વાનને વધારે વેગ મળે એવા પણ અમારા સૌના પ્રયત્ન છે. તેમજ ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં સર્વાંગી વિકાસ થાય એ પ્રકારનું આયોજન અને એ પ્રકારે એ દિશામાં કામ કરી રહ્યા છીએ, વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરની અંદર ગુજરાતનું રોલ મોડેલ કહી શકાય એવું ATM આજે કાર્યરત છે. રાત્રીના 12 વાગ્ય પણ કોઈપણને લાઈનમાં ઉભું રહેવું ન પડે એ રીતે રાશન લઈ રહ્યા છે, અને મારા વિભાગની વાત કરીએ તો અનેક ટેકનોલોજી સાથે મારા વિભાગની અંદર એપ અને પોર્ટલો શરૂ કર્યા છે, આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર પણ સમગ્ર મતક્ષેત્ર જે સાંસદના છે એની અંદર એટીએમ, ગ્રેડ એટીએમ બધાને મળે એવો પણ મારો પ્રયત્ન છે. ભાવનગરથી ધોલેરા સર એ રેલવે લાઇન છે એનો પણ સર્વે શરૂ કરી દીધો છે. ભાવનગરથી અયોધ્યા એ પણ આપણને રેલવે મળી છે, રેલવે મંત્રી ભાવનગર આવીને આ રેલવેની પરમિશન આપેલી છે. આવનાર દિવસોની અંદર ભાવનગરથી સુરત જે આપણે વંદે ભારત જે બધા જ લોકોની પણ એક માંગ છે ત્યારે એ વંદે ભારત તરફ આપણે આગળ વધીશું અને વહેલામાં વહેલા શરૂ થાય એવા મારા પ્રયત્ન રહેશે. સાથે આવનાર દિવસોની અંદર ઇન્ડિગો એ આપણને એર કનેક્ટિવિટી મળે એના માટે પણ સતત મારો પ્રયાસ રહેશે, આ સ્નેહમિલનમાં શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, પૂર્વ પ્રમુખો, કાર્યકરો, આગેવાનો, ઉધોગપતિઓ, વેપારીઓ તથા ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
'ખજૂરભાઈ' (નીતિન જાની) હવે રાજકારણના મેદાનમાં જોવા મળે તો નવાઈ નહીં. સોશિયલ મીડિયામાં વાઈરલ એક વીડિયોમાં ખજૂરભાઈ કહી રહ્યા છે કે, અત્યાર સુધી વિચાર કર્યો નહોતો પણ હવે લાગે છે કે 2027માં આપણે ઉતરવું પડશે. પોતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષિત લોકોને પણ રાજકારણમાં આવવા અપીલ કરી હતી. 2027 વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરીસોશિયલ મીડિયામાં હાલ નીતિન જાની (ખજૂરભાઈ)નો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક કાર્યક્રમમાં યુવાઓને આગામી 2027ની ચૂંટણીમાં ઝંપલાવવાની અપીલ કરી રહ્યા છે. સાથે કહી રહ્યા છે કે, તમારી દયા હશે તો હું પણ ચૂંટણી લડવાનો છું. યુવાઓને અપીલ કરતા કહ્યું હતું કે, પાર્ટી ગમે તે હોય તમે ચૂંટણી લડજો. લાગે છે કે આપણે ચૂંટણી લડવી પડશે- ખજૂરભાઈખજૂરભાઈએ કહ્યું હતું કે, અત્યાર સુધી રાજકારણમાં આવવાનો વિચાર કર્યો નહોતો પણ હવે લાગે છે કે 2027માં આવવું પડશે. જો કે, આ વીડિયોમાં તેઓ કઈ પાર્ટમાંથી ચૂંટણી લડશે તેની કોઈ સ્પષ્ટતા કરી નહોતી. ગુજરાતના ફેમસ યુટ્યુબર અને સમાજસેવકગુજરાતના કોઈક જ લોકો એવા હશે કે જે ખજૂરભાઈને ઓળખતા ન હોય. પોતાના વીડિયો થકી તે લોકોને હસાવતા રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી જરુરિયાતમંદ લોકોને મકાન બનાવી આપવાની સેવા પણ કરી રહ્યા છે. સુરતમાં 24 મે, 1987મા જન્મેલા નીતિન જાનીના પિતા કથાકાર હતા. નીતિન જાનીએ સુરતમાં જ ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પરિવાર બારડોલી રહેવા જતો રહ્યો હતો. પરિવારમાં ચાર ભાઈઓ અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ તથા તરુણભાઈ અને ત્રણ બહેનો મનીષાબેન, આશાબેન, વર્ષાબેન છે.
નવસારીના વીરવાડી હનુમાન મંદિરે ભક્તોની ભીડ જામી:દિવાળીની રજાઓમાં 5,000થી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો
નવસારીના હાઈવે નજીક આવેલા પ્રખ્યાત વીરવાડી હનુમાનજી મંદિરે દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન, 5,000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રસાદ માટે 500 મીટરથી વધુ લાંબી લાઈન લાગી હતી. મંદિર મેનેજમેન્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને વ્યવસ્થિત રીતે લાઈનમાં દર્શન અને પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વીરવાડી હનુમાનજી મંદિરની મુલાકાત લે છે. આ મંદિર હનુમાન દાદાના બાળસ્વરૂપ તરીકે ઓળખાય છે. કેટલાક દાવાઓ અનુસાર, સમગ્ર દેશમાં પૂર્વભિમુખ હનુમાન મંદિર દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલું વીરવાડી હનુમાનજી મંદિર છે. નવસારી NRI પંથક હોવાથી અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો પણ અહીં દર્શનાર્થે આવે છે. આ પૌરાણિક મંદિરનો 1982માં રામકથાકાર મોરારીબાપુના હસ્તે આધુનિક સ્વરૂપ અને સુવિધાઓ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. દર વર્ષે હનુમાન જયંતિએ અહીં વિશેષ કાર્યક્રમો અને ભંડારાનું આયોજન થાય છે, જેમાં લાખો લોકો દર્શનનો લાભ લે છે.
સુરત શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગઠિયાઓએ નવો રસ્તો અપનાવી હીરાના કારખાનેદારને શિકાર બનાવ્યા છે. અજાણ્યા ઠગબાજે વોટ્સએપ પર 'ઈ-ચલણ રિપોર્ટ'ની APK ફાઇલ મોકલીને તેમનો મોબાઈલ હેક કર્યો અને તેમના બેંક ખાતામાંથી 2,00,000ની રકમ છળકપટથી ઉપાડી લીધી. જે અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. વોટ્સએપ નંબર પર શંકાસ્પદ ફાઇલ મોકલી હતીફરિયાદી ભરતભાઈ કાળુભાઈ કેવડિયા (ઉ.વ. 48, રહે. પનવેલ પેલેસ, મોટા વરાછા), જેઓ હીરાના કારખાનાનો વ્યવસાય કરે છે, તેમણે અજાણ્યા વોટ્સએપ નંબરના ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આ ઘટના તા. 01/09/2025 ના રોજ બપોરે 2:30 થી 3:00 વાગ્યા દરમિયાન બની હતી. કોઈ અજાણ્યા આરોપીએ ભરતભાઈના વોટ્સએપ નંબર પર E-Challan Report.apk નામની એક શંકાસ્પદ ફાઇલ મોકલી હતી. ઈ-ચલણની વાતથી ભોળવાઈને ફરિયાદીએ જેવી આ APK ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરી, કે તરત જ આરોપીએ તેમનો મોબાઇલ ફોન હેક કરી લીધો હતો. અજાણ્યા નંબર પરથી આવતી ફાઇલ કે લિંકને ખોલવી નહીમોબાઈલ હેક થયા બાદ, આરોપીએ ફરિયાદીના Federal Bank ના ખાતા માંથી છળકપટ કરીને એકસાથે કુલ 2 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પટેલ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેમણે લોકોને ચેતવણી આપી છે કે, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઇલ કે લિંકને ખોલવી કે ડાઉનલોડ કરવી નહીં, કારણ કે તે તમારા ફોનનો કંટ્રોલ હેકર્સને આપી શકે છે અને બેંક ખાતા ખાલી કરી શકે છે. સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં નગરપાલિકાના નવીન ભવનના પરિસરમાં આવતીકાલે સ્નેહ મિલન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર નગરપાલિકાનું નવું ભવન સોમવારથી સંપૂર્ણપણે કાર્યરત થશે. હિંમતનગર નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ ૨૬ ઓક્ટોબર, રવિવારે સવારે ૯:૩૦ કલાકે યોજાશે. નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવા માટે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત પાલિકાના સદસ્યો, ચેરમેનો અને શહેર સંગઠનના વેપારીઓ હાજર રહેશે. કાર્યક્રમ માટે મંડપ બાંધવા સહિતની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આશરે સાડા છ કરોડના ખર્ચે બનેલા નવીન નગરપાલિકા ભવનનું લોકાર્પણ અગાઉ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ધીમે ધીમે સરસામાન નવા ભવનમાં ખસેડવામાં આવી રહ્યો હતો. હવે ૨૭ ઓક્ટોબર, સોમવારથી નવીન પાલિકા ભવન સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો આગામી તારીખ 2/11/2025ના રોજ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે 36 કિલોમીટરના જંગલ માર્ગ પર ચાલીને પરિક્રમા પૂર્ણ કરે છે. દર વર્ષે યોજાતી આ પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે.તૈયારીઓના ભાગરૂપે, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા પોલીસ વડા અને ડીસીએફ સહિતના અધિકારીઓ સાથે પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટરના રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું. કઠિન માર્ગે ચાલીને વ્યવસ્થાઓની તપાસ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, તેમજ આરોગ્ય વિભાગ, પોલીસ અને વન વિભાગના સંબંધિત અધિકારીઓએ સરકડીયાથી બોરદેવી સુધીના કઠિન ચઢાણવાળા માર્ગ પર ચાલીને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી શરૂ કરીને ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલા, બોરદેવી અને અંતિમ દ્વાર ભવનાથ સુધી ચાલીને તેમજ મોટર માર્ગે સમગ્ર રૂટની તપાસ કરી હતી. આ દરમિયાન પરિક્રમાર્થીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી. પરિક્રમાર્થીઓ માટે સુવિધાઓ અને 'પ્લાસ્ટિક મુક્ત' અભિયાન પરિક્રમાના લાખો ભાવિકો માટે પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ, અને સુરક્ષા સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પરિક્રમાના રૂટ પરના જળ સ્ત્રોતો અને જંગલના પર્યાવરણને શુદ્ધ રાખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા આ વર્ષે 'પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા – 2025' માટે ભાવિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. પરિક્રમાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, જેથી જંગલનું અમૂલ્ય પર્યાવરણ અને કુદરતી જળ સ્ત્રોત દૂષિત ન થાય. આ પ્રયાસો ગિરનારના પવિત્ર જંગલને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં મદદરૂપ થશે. ધાર્મિક મહત્વ અને સુરક્ષા વ્યવસ્થા દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી આ લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. પરિક્રમા દરમિયાન 15 લાખથી વધુ ભાવિકો આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને વન વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રૂટ પર ઠેર ઠેર મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવશે, જ્યારે સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રો પણ શ્રદ્ધાળુઓને ભોજન અને અન્ય સેવાઓ પૂરી પાડવા માટે સજ્જ થઈ રહ્યા છે. પરિક્રમાનો આ કઠિન માર્ગ ભક્તોને ધર્મની સાથે પ્રકૃતિનો અનુભવ પણ કરાવે છે. તંત્ર દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે, જેથી આ આધ્યાત્મિક યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે.
જામનગરમાં સાયબર ક્રાઈમનો આરોપી ઝડપાયો:વેપારી પાસેથી ₹1.44 કરોડ પડાવવા ધમકી આપી, ખાતા ભાડે આપતો હતો
જામનગર સાયબર ક્રાઈમે ઓનલાઈન આર્થિક ઠગાઈના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી વેપારી પાસેથી નાણાં પડાવવા અને મની લોન્ડરિંગ તેમજ ED કેસમાં ફસાવવાની ધમકી આપતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દર્શીત કિશોરભાઈ કાગદડા (રહે. જામનગર)એ તેના સાગરિતો સાથે મળી એક વેપારીની 'પ્રગતિ એન્ટરપ્રાઇઝ' નામની પેઢીના એક્સિસ બેંક ખાતાની વિગતો મેળવી હતી. આ ખાતું મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા NCCRP અરજીના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ₹1.44 કરોડ જમા હતા. આરોપીએ વર્ચ્યુઅલ નંબર +4475988111109 પરથી વેપારીને ફોન કર્યો હતો અને પોતાનું નામ દર્શીત કાગદડા જણાવી ખાતું અનફ્રીઝ કરાવવાની લાલચ આપી હતી. તેણે અલગ-અલગ વ્યક્તિઓ સાથેના સંબંધોની ખોટી ઓળખો આપી વોટ્સએપ પર વાતચીત કરી ઠગાઈનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વેપારી તેની વાતોમાં ન આવ્યા, ત્યારે આરોપીએ તેમને મની લોન્ડરિંગ અને EDના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૬), ૩૧૮(૪), ૬૨ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ PI આઇ.એ. પાસુરાની ટીમે HC કુલદિપસિંહ જાડેજા, HC પ્રણવભાઈ વસરા અને HC રાજેશભાઈ કરમુર દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી આરોપી દર્શીત કાગદડાને જામનગરથી પકડી પાડ્યો છે.
લુણાવાડાના પ્રાચીન શિવ મંદિરમાં ચોરી:શિવલિંગ પરની જળાધારી અને DVR ચોરાયા, પૂજારીએ પોલીસને જાણ કરી
લુણાવાડા શહેરમાં તસ્કરોએ એક પૌરાણિક શિવ મંદિરને નિશાન બનાવ્યું છે. શહેર પાસેથી પસાર થતી પાનમ નદી કિનારે આવેલા કુમારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે. ચોરો મંદિરમાંથી શિવલિંગ પરની ચાંદીની જળાધારી ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત, સીસીટીવી કેમેરાના ડીવીઆર (DVR) ના વાયર પણ કાપીને લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે મંદિરના પૂજારી દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે બનાવ અંગેની તપાસ શરૂ કરી છે. મંદિરના પૂજારી અમિત સેવકે જણાવ્યું કે, ગતરાત્રિએ શ્રી કુમારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી. ચોરો ચાંદીની જળાધારી અને કેમેરાના ડીવીઆરના વાયરો કાપીને લઈ ગયા છે. આ અંગે પ્રાથમિક જાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને ચલણી નોટોનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ભક્તિ અને કલાનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું.મંદિર પરિસરમાં ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરીને આ શણગાર સજાવવામાં આવ્યો છે. હનુમાનજી દાદાની મૂર્તિ અને સિંહાસન પર નોટોથી કલાત્મક ડિઝાઇન તથા રંગોળીરૂપ શણગાર તૈયાર કરાયો હતો.આ અનોખો શણગાર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉપસ્થિત રહી આ વિશેષ શણગારના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષના અવસરે હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામ સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી એ સામાન્ય માણસનો અવાજ છે. આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવી, જનતાના હિત માટે લડત ચાલુ રાખવી એ દરેક કાર્યકરનું ધ્યેય હોવું જોઈએ. જિલ્લા પ્રમુખ રામ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નવું વર્ષ નવા ઉત્સાહ અને સંકલ્પ સાથે પક્ષના ધ્યેયને આગળ વધારવાનું વર્ષ છે. તેમણે કોંગ્રેસ વિચારધારાને સમાનતા, ન્યાય અને વિકાસની વિચારધારા ગણાવી હતી. આ કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જિલ્લા, તાલુકા અને શહેર સ્તરના કાર્યકરો વચ્ચે એકતા, સંકલ્પ અને સૌહાર્દનો ભાવ ઉજાગર થયો હતો. આ પ્રસંગે સંગઠનના વિવિધ ક્ષેત્રે સક્રિય કાર્યકરોને માનપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમુખ અશોક, પ્રદેશ મહામંત્રી નઈમ, ઇમરાન, પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ, વિપક્ષ નેતા પ્રભાતસિંહ, બિંદુબા, ટીવી પટેલ, હર્ષદ મકવાણા, કમળાબેન પરમાર, રેખાબેન સોલંકી સહિત તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો, વિપક્ષ નેતાઓ, વિવિધ સેલના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રિયવદન પટેલ, કુમાર ભાટ અને મુકેશ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે સમાપ્તિ થઈ હતી.
ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે દસ વર્ષથી નાસતા ફરતા છેતરપિંડીના આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આરોપી હરેશકુમાર રસિકલાલ ત્રિવેદીને વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ નજીકથી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોના પ્રયાસોના ભાગરૂપે ભરૂચ સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે આ કાર્યવાહી કરી હતી. આરોપી હરેશકુમારે વર્ષ 2007માં 'બ્લોસમ ચેરીટેબલ ટ્રસ્ટ' નામની સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા દ્વારા બેરોજગાર યુવાનોને નિઃશુલ્ક કોમ્પ્યુટર શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેણે દરેક વ્યક્તિ પાસેથી ડિપોઝિટ પેટે ₹52,000 વસૂલ્યા હતા. યુવાનોને એક મહિનાની તાલીમ આપ્યા બાદ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી અને બે કોમ્પ્યુટર આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, આરોપીએ ત્યારબાદ ઓફિસ બંધ કરી દીધી અને કુલ ₹1,56,000 લઈને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં અગાઉ એક આરોપીને ઝડપી પાડી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હરેશકુમાર ત્રિવેદી છેલ્લા દસ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. ભરૂચ “સી” ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા મગોડી સ્થિત રાહેલબા વૃદ્ધાશ્રમના 60 નિવાસી વડીલો માટે દિવાળીના તહેવારો નિમિત્તે ભેટ આપવામાં આવી. આ પ્રસંગે વડીલો સાથે તહેવારોની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી હતી. આ ભેટમાં ભોજન સામગ્રી જેવી કે ઘઉંનો લોટ, ચોખા, મગ, તુવેર દાળ, તેલ, મગની દાળ, મરચું, ધાણાજીરું, હળદર, મીઠું, ચા, ખાંડ અને ગોળનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, ચવાણું, મીઠાઈ, વેફર અને બિસ્કિટના પેકેટ પણ આપવામાં આવ્યા હતા. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ઇન્દિરા જીતેન્દ્ર ગાંધી અને માર્કણ્ડભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વૃદ્ધાશ્રમ સંસ્થા તરફથી ઝાલા સાહેબ, નિર્મળાબેન અને સતિષભાઈ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ (SGVP) અમદાવાદ દ્વારા ઋષિકેશ ખાતે સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં આ શિબિર યોજાઈ રહી છે. આ બંને સંતો ઋષિકેશ ખાતે પધારતા પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતીજી મહારાજે તેમનું સ્વાગત કર્યું હતું. આ સત્સંગ સાધના શિબિરમાં દેશ-વિદેશથી 800થી વધુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે. 25 ઓક્ટોબરે શરૂ થયેલી આ શિબિર 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આધ્યાત્મિક વિકાસ, સંસ્કાર સંવર્ધન અને ભક્તિના પોષણના હેતુસર આ શિબિરનું આયોજન કરાયું છે. ભક્તોને પ્રાતઃપૂજા, યોગ-ધ્યાન, સત્સંગ, પ્રેરણાદાયી પ્રવચનો, વિવિધ ગ્રંથના પાઠ અને ગંગા આરતી સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ સાધના અને સદાચારી જીવન જીવવાનું શીખવા મળશે. SGVP દ્વારા વર્ષોથી આધ્યાત્મિકતા, શિક્ષણ અને માનવીય સેવા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદના બોપલમાં મોડી રાતે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પણ પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં. જેમાં કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતાં. જે ફાર્મ હાઉસ પર પોલીસની રેડ થઈ હતી તે ફાર્મ હાઉસ પર દિવ્યભાસ્કર પહોંચ્યું હતું. ફાર્મ હાઉસમાં 12 ટેબલ અસ્તવ્યસ્ત પડેલા હતાં, જેમાં કેટલામાં દારૂની બોટલ પડી હતી તો કેટલાકમાં હુક્કા હતાં. દારૂ પાર્ટી ઉપરાંત પુલ પાર્ટી પણ રાખવામાં આવી હતી સાથે જ નોનવેજના લાઇવ કાઉન્ટર પણ રાખવામાં આવ્યાં હતાં. રેડ પછી પણ સવારે 7 વિદેશી નાગરિકો ત્યાં શું કરતા હતા? મીડિયાને જોઈને કાર ચાલકે દરવાજા ખુલ્લા રાખીને ગાડી ભગાવીફાર્મ હાઉસ મુખ્ય રસ્તાથી 1 કિમી અંદર ખેતરના રસ્તામાં આવેલું હતું. ફાર્મ હાઉસ પર જ્યારે દિવ્યભાસ્કરની ટીમ પહોંચી ત્યારે એક લાલ કલરની ગાડીમાં 7-8 જેટલા વિદેશી યુવક અને યુવતીનો ભાગી રહ્યા હતાં. જેમાં ગાડી ચલાવનાર યુવકે માથે કપડું મૂકી દીધું હતું, જ્યારે પાછળની સીટમાં 4થી વધુ લોકો બેઠા હતાં.એક યુવતી પણ અંદર બેસવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે બેસી શકી નહોતી. મીડિયાને જોઈને કાર ચાલકે જોયા વિના દરવાજા ખુલ્લા રાખીને ગાડી ભગાવી દીધી હતી. 12 લાલ કલરના ટેબલ, સ્વિમિંગ પૂલ અને 2 રૂમ પણ હતાફાર્મ હાઉસની બહાર કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નહોતું. ભાસ્કરની ટીમ જ્યાર ફાર્મ હાઉસની અંદર પહોંચી ત્યારે ફાર્મ હાઉસમાં કોઈ મોટી પાર્ટી હોય તેમ અલગ અલગ 12 જેટલા લાલ કલરના ટેબલ અને ખુરશીઓ પડી હતી. ડીજેનું એક સ્ટેજ અને સ્પીકર પણ હતા.અલગ અલગ પ્રકારના પાસ પડ્યા હતાં.જમવાના લાઇવ કાઉન્ટર હતાં. સ્વિમિંગ પૂલ અને 2 રૂમ પણ હતા. આ પણ વાંચો:અમદાવાદના ફાર્મમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ:13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ નોનવેજની ડીશ, દારૂ ભરેલા કેટલાક ગ્લાસ અને તૂટેલા હુક્કાતમામ ટેબલ વેરવિખેર હાલતમાં હતાં. ટેબલ પર દારૂની બોટલો,પાણીની બોટલ,કોલ્ડ ડ્રિંકની બોટલ હતી.આ ઉપરાંત કેટલાક તૂટેલા હુક્કા અને હક્કની ફ્લેવર્સ હતી.ટેબલ પર ખાવાની કેટલીક ગંદી ડીશ પડેલી હતી. નોનવેજની ડીશ, દારૂ ભરેલા કેટલાક ગ્લાસ સહિતની વસ્તુઓ હતી. માત્ર દારૂ પાર્ટી ન્હોતી પરંતુ પુલ પાર્ટી હતી સાથે જ નોનવેજના અલગ અલગ લાઇવ કાઉન્ટર હતાં. 2 રૂમ પણ હતા તેમાં પણ દારૂ પાર્ટી ચાલી રહી હતી. કેટલાક વિદેશી યુવક યુવતીઓ શંકાસ્પદ પ્રવૃતિ કરીને નાસ્યાજોકે આટલી મોટી દારૂ પાર્ટી પકડ્યા બાદ પોલીસની સ્થળ પર હાજરી જોવા મળી ન્હોતી.પોલીસ દ્વારા ઢીલ મૂકવ આવી હોય તેમ બનાવ સ્થળ બિનવારસી મૂકી દેવામાં આવ્યું હતું. જેના કારણે કેટલાક વિદેશી યુવક યુવતીઓ સવારે સ્થળ પર પહોંચીને શંકાસ્પદ પ્રવૃતિ કરીને નાસી ગયા હતાં. પોલીસની બેદરકારીઆટલી મોટી રેડ બાદ પણ સ્થળ પર બિનઅધિકૃત 7-8 લોકો પહોચી ગયા એટલે પોલીસની ચોક્કસ બેદરકારી સામે આવી છે. જોકે ફાર્મ હાઉસના માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે સવાલ છે.
વલસાડની સોસાયટીમાં ચોરી, ત્રણ ઘરમાં નિષ્ફળ પ્રયાસ:ત્રણ તસ્કરો CCTVમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી
વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલી સાઈ પાર્ક સોસાયટીમાં લાભ પાંચમના દિવસે વહેલી સવારે ચોરીનો પ્રયાસ થયો હતો. ત્રણ તસ્કરોએ સોસાયટીના ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાંથી એક મકાનમાં તેઓ ચોરી કરવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્કરોએ ચાર મકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણ મકાનોમાં તેઓને નિષ્ફળતા મળી હતી. જ્યારે એક મકાનમાંથી ચોરી કરવામાં તેઓ સફળ રહ્યા હતા. તસ્કરોની આ સમગ્ર ગતિવિધિ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ સોસાયટીના રહેવાસીઓને થતાં, તેમણે તાત્કાલિક CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેના આધારે ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
ગોધરા નજીક અકસ્માત, એકનું મોત, એક ઘાયલ:સિદ્ધિ હોટલ પાસે મોટરસાઈકલને ટક્કર, અજાણ્યા ચાલક સામે ફરિયાદ
ગોધરા શહેર નજીક લીલેસરા ગામની સીમમાં સિદ્ધિ હોટલ પાસે ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી મોટરસાઈકલને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકનું નામ ભરતભાઈ દિતીયાભાઇ રાવત (આશરે 40 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. તેમની પત્ની સોનલબેન ભરતભાઈ રાવતને માથાના ભાગે, બંને પગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થઈ હતી. સોનલબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફરિયાદી શૈલેષભાઇ દિતીયાભાઈ રાવતના જણાવ્યા અનુસાર, ગત સાંજે લગભગ 6 વાગ્યાના સુમારે તેમના નાના ભાઈ દિલીપભાઈના મોબાઈલ ફોન પર ભાભી સોનલબેનનો ફોન આવ્યો હતો. સોનલબેને જણાવ્યું હતું કે, તેઓ અને ભરતભાઈ GJ-20-S-9121 નંબરની મોટરસાઈકલ પર વડોદરાની કંપનીમાં કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે સિદ્ધિ હોટલ પાસે અકસ્માત થયો હતો. આ માહિતી મળતા શૈલેષભાઈ, તેમની માતા, પત્ની અને અન્ય પરિવારજનો તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને જાણવા મળ્યું કે ભરતભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને તેમનો મૃતદેહ પી.એમ. રૂમમાં રાખવામાં આવ્યો હતો. શૈલેષભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાભપાંચમે વેપાર-ધંધાનો આરંભ થશે:વેપારીઓ વણજોયા મુહૂર્તમાં વેપાર ધંધાની શુભ શરૂઆત કરશે
દિવાળીના તહેવારોની ઉજવણી બાદ વેપારીઓ વિક્રમ સંવત 2082માં લાભપાંચમના વણજોયા મુહૂર્તમાં રવિવારથી વેપાર-ધંધાનો પુનઃ આરંભ કરશે. લાભ પાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ લાભ અને સૌભાગ્ય સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં દિવાળીના તહેવારો લાભપંચમીના દિવસે સમાપ્ત થાય છે અને આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. લાભપંચમના દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જીવન, વ્યવસાય અને પરિવારમાં લાભ, સુખ અને સૌભાગ્ય લાવે છે. આ કારણે મોટાભાગના દુકાનમાલિકો અને વેપારીઓ દિવાળીના તહેવારો પછી લાભ પાંચમ પર તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે છે. લાભ પાંચમ એ ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે. આ દિવસે ઉદ્યોગપતિઓ નવા એકાઉન્ટ લેજર્સનું ઉદ્ઘાટન કરે છે, જેને ગુજરાતીમાં 'ખાતુ' કહેવાય છે. આ ખાતામાં કંકુથી ડાબી બાજુ 'શુભ', જમણી બાજુ 'લાભ' લખવામાં આવે છે અને પ્રથમ પૃષ્ઠની મધ્યમાં સાથિયો દોરવામાં આવે છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનું ધ્યાન કરવામાં આવે છે. જૈન ધર્મમાં લાભ પાંચમને જ્ઞાનપંચમી પણ કહેવાય છે. આ દિવસે જૈન અનુયાયીઓ તેમના ગુરુઓ અને સાધુ મહારાજ પાસેથી જ્ઞાનના ઉપદેશો મેળવે છે અને માંગલિક સાંભળે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીની સાથે વિદ્યાની દેવી શારદાની પણ પૂજા કરાય છે, જેથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય.
રાજકોટમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી તમારા ઈમેલ આઇડીનો ખરાબ વેબસાઈટમાં ઉપયોગ થયો છે તેમ કહી યુવતિ પાસેથી ગૂગલ પે મારફત રૂ.67,800 પડાવી લીધાની ઘટના સામે આવી છે. ફરિયાદમાંથી નામ કઢાવવા માટે નાણા આપવા પડશે તેમ કહેતા ડરી ગયેલી યુવતિએ કટકે કટકે નાણા ઓનલાઇન આપી દીધા હતા. જોકે બાદમાં યુવતીને છેતરાઈ ગયાનો અહેસાસ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગૂનો નોંધાયો છે. જેથી પોલીસે અજાણ્યા શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરના રૈયા રોડ બાપા સિતારામ ચોક ગણેશ એપાર્ટમેન્ટ-305 માં ભાડેથી પી.જી.માં રહેતાં મુળ રાજકોટના ખેરડી ગામની 28 વર્ષની યુવતિને તા.9 ઓક્ટોબરના રોજ અજાણ્યા શખ્સે ફોન કરી તમારા ઇ-મેઇલ આઇડીનો ખરાબ વેબ સાઇટમાં ઉપયોગ થયો છે. હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી બોલુ છુ. તમારા વિરૂધ્ધ ફરિયાદ થઇ છે તેમ કહી ડરાવી ધમકાવી ઓનલાઇન રૂ.67800 ટ્રાન્સફર કરાવડાવી ઠગાઇ કરતાં પોલીસે બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારકો અને ગૂગલ પેથી જેમાં રૂપિયા ટ્રાન્સફર થયા તે ત્રણ અલગ અલગ મોબાઇલ ફોનના ધારકો સામે ગુનો નોંધ્યો છે. યુનિવર્સિટી પોલીસમાં યુવતિએ નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે, હું પી.જી.માં ભાડેથી રહુ છું અને મારી સાથે બીજી યુવતિઓ પણ રહે છે. ગત 9 ઓક્ટોબરના હું મારા રૂમે હતી ત્યારે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યુ હતુ કે, હું કેન્દ્ર સરકારમાથી બોલુ છુ અને ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીથી બોલુ છુ. તમારા મેઇલ આઈડીનો ખરાબ વેબસાઇટમા ગેરઉપયોગ થયેલ છે. જેથી તમારા વિરૂધ્ધ ફરીયાદ થયેલ છે. જે બાદ કહ્યુ હતુ કે ફરીયાદમાથી તમારૂ નામ કાઢવુ હોય તો તેના માટે તમારે મોબાઇલ વોટસએપ કોલથી વાત કરવી પડશે. તમારા નામની ફાઇલ બનાવવી પડશે અને જે તમારી ફાઇલ મોકલે તે મને મોકલી આપજો. જેથી મે સવારે 11.15 વાગ્યે વોટસએપ કોલ કર્યો હતો. તે વખતે મને કહ્યુ હતુ કે તમે તમારા મેઈલ આઈ.ડીનો મીસયુઝ કરવામા હદપાર કરી નાખી છે અને એના માટે તમારે ખુબજ વધુ દંડ ભરવો પડશે અને તમારી ફાઈલ બનાવા માટે રૂ.12900 ભરવા પડશે. જેથી મે મારા ગુગલ પેમાથી સામેવાળાએ બતાવેલ મોબાઇલ નંબરમા ગુગલ પે થી રૂપીયા આપ્યા હતા. જે બાદ મારી પાસે રૂપીયા ભર્યા તેનો સ્ક્રીનશોટ માંગતા મે મોકલ્યો હતો જેથી આ સામેવાળાએ મને જણાવેલ કે તમારો મોબાઇલ નંબર રીમુવ નથી થતો જેથી રૂ.18400 ભરવા પડશે. જેથી મે ફરી ગૂગલ પે દ્વારા નાણા આપ્યા હતા. આ પછી ફરીથી તેણે કહેલું કે હજુ તમારી હજુ ફાઇલ બનતી નથી જેથી રૂ.36500 ભરવાનુ કહેતા તે નાણા ભર્યા હતા. જોકે તે પછી હજુ ફાઇલ બનતી નથી તેમ કહી રૂ.32000ની માંગણી કરી હતી પરંતુ શંકા જતા મે વધુ રૂપીયા ભર્યા ન હતા. આ રીતે ખોટી ઓળખ આપી રૂ.67800 ઓનલાઇન ભરાવડાવી છેતરપીંડી કરવામાં આવી હતી.
સુરત શહેરમાંથી કાયદાની સરેઆમ અવગણનાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ સામાન્ય ઘરકંકાસ અને ગેરકાયદેસર સંબંધોના વિવાદમાં પોતાની પત્નીને તેના જ બે સંતાનોની હાજરીમાં તલાક, તલાક, તલાક... કહીને સંબંધ વિચ્છેદ કરવાનો ગુનો આચર્યો છે. આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ આસિફ મહેબુબ મિયાં શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં તાત્કાલિક ત્રિપલ તલાકના ગંભીર ગુના ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસની કલમો પણ ઉમેરવામાં આવી છે. પતિને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધોપોલીસ ફરિયાદ મુજબ, મૂળ અજમેર ખાતે લગ્ન કરનાર ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, લગ્નજીવનના લગભગ બે દાયકા બાદ તેમના પતિ આસિફ શેખે રોજબરોજની નાની-નાની વાતોમાં ઝઘડા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ઝઘડાનું મૂળ કારણ ત્યારે સામે આવ્યું જ્યારે ફરિયાદીને ખબર પડી કે, તેમના પતિને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતે પત્નીએ સવાલો કર્યા, તો આરોપી પતિએ તેને ગાળો આપીને ખૂબ માર માર્યો અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. 'મેં તેરે કો તલાક દેતા હું, તલાક, તલાક, તલાક!'ઘટનાની પરાકાષ્ઠા 24 ઓક્ટોબર, 2024 ના રોજ આવી. બપોરે પુત્ર આઈમે આરોપી પિતા પાસે જમવાનો સામાન માંગતા, આસિફ શેખ અચાનક ગુસ્સે થઈ ગયો અને પુત્રને માર મારવા લાગ્યો. માતાએ વચ્ચે પડવાની કોશિશ કરી તો આરોપીએ તેની સાથે પણ મારામારી કરી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી પતિએ ગુસ્સામાં આવીને પુત્ર અને પુત્રીની હાજરીમાં જ ઊંચા અવાજે ત્રણ વખત તલાકના શબ્દોનું ઉચ્ચારણ કર્યું, 'મેં તેરે કો તલાક દેતા હું, તલાક, તલાક, તલાક!'... પતિ વિરુદ્ધ ગુનો દાખલપોલીસે આરોપી સામે માત્ર જૂની આઈપીસી જ નહીં, પરંતુ તાજેતરમાં લાગુ થયેલી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-85, 351(2) તથા મુસ્લીમ મહિલાઓને રક્ષણ આપતા કાયદા મુસ્લીમ મહિલા અધિનિયમ-2019ની કલમ-3 અને 4 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, 'મુસ્લિમ મહિલા અધિનિયમ-2019'ની કલમ 3 હેઠળ એક જ બેઠકમાં 'તત્કાલીન તીન તલાક' બોલવાને ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે, જેમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. ત્રિપલ તલાક આપનાર આરોપીની ધરપકડબાળકોની નજર સામે જ પત્નીને ત્રિપલ તલાક આપી દેવાની આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે. પો.સ.ઈ. એન.એ. ચૌહાણએ ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે કાયદાનો ભંગ કરનાર આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ આવા કિસ્સામાં આરોપીને જામીન મળવા મુશ્કેલ હોય છે. આ ઘટના ફરી એકવાર મહિલા સુરક્ષા અને સમાજમાં કાયદાના અમલના સવાલો ઊભા કરે છે.
લોઢવા હનુમાન મંદિરમાં ચોરી:CCTVમાં કેદ થયા તસ્કરો, દાનપેટી તોડી રોકડ લઈ ફરાર
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આવેલા હનુમાન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે અજાણ્યા ચોરે દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. માહિતી અનુસાર, પે. શાળાના ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં ચોરે પ્રવેશ કર્યો હતો. તેણે મંદિરમાં રાખેલી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ ચોરી લીધી હતી. આ સમગ્ર ઘટના મંદિર પર લગાવાયેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સવારે સ્થાનિક લોકોને ચોરીની જાણ થતાં તેમણે સુત્રાપાડા પોલીસને માહિતી આપી હતી. પોલીસ તંત્રે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે ચોરની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ ચોરના હુલિયા અંગે તપાસ કરી રહી છે અને નજીકના વિસ્તારોમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ મંદિરમાં સુરક્ષા વધારવા અને વધારાના કેમેરા લગાવવાની માગણી પણ ઉઠાવી છે.
ગોધરામાં ₹60,500ની ઘરફોડ ચોરી:તસ્કરો CCTVમાં કેદ, વિનાયક નગર સોસાયટીમાં ફરિયાદ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી વિનાયક નગર સોસાયટીમાં એક મકાનમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા તસ્કરો કુલ ₹60,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મકાન માલિકે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે, વિનાયક નગર સોસાયટીમાં રહેતા જીગ્નેશકુમાર શિવશંકર પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે, 23 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે તેઓ અને તેમની પત્ની યોગીતાબેન ભાઈબીજના તહેવાર નિમિત્તે અમદાવાદ તેમની બહેનના ઘરે ગયા હતા. તેમનો પુત્ર દર્શન રાત્રે તેમના દાદા શિવશંકર પ્રજાપતિના ઘરે ગયો હતો, જેથી મકાન ખાલી હતું. બીજા દિવસે, 24 ઓક્ટોબર, 2025ના રોજ સવારે આશરે સાત વાગ્યે પુત્ર દર્શન ઘરે પાછો ફર્યો ત્યારે તેણે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોયું. તેણે તરત જ તેના પિતા જીગ્નેશકુમારને ફોન કરીને જાણ કરી. જીગ્નેશકુમારના કહેવાથી પુત્રએ ઘરમાં તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત અને કબાટ ખુલ્લા જોવા મળ્યા. ત્યારબાદ જીગ્નેશકુમાર અને તેમની પત્ની અમદાવાદથી સવારે નવ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. તેમણે તપાસ કરતા કબાટમાં રાખેલા પર્સમાંથી એક સોનાની ચેઈન (₹30,000), એક જોડી બુટ્ટી (₹20,000), એક સોનાની ચૂની (₹1,500), બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ અને રોકડા ₹9,000 ગાયબ જણાયા. આમ, કુલ ₹60,500ની મત્તાની ચોરી થઈ હતી. આ ઘટના અંગે જીગ્નેશકુમાર પ્રજાપતિએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથમાં દિવાળીના મીની વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 17થી 24 ઓક્ટોબર દરમિયાન કુલ 4.38 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓના આ ભારે ધસારાને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સહિતના તમામ ગેસ્ટહાઉસ, હોટેલ અને પાર્કિંગ વિસ્તારો સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા. ટ્રસ્ટના બે હજાર વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાર્કિંગ સ્થળો પણ ભરાઈ ગયા હતા. આથી, વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વધારાના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવિકોને દર્શન દરમિયાન કોઈ અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટની સિક્યુરિટી ટીમે સંકલિત રીતે દેખરેખ રાખી હતી.દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે, શ્રદ્ધાળુઓએ વિક્રમ સંવત 2082ના શુભારંભે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન સોમનાથ ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
રાજકોટના હવાઈ મુસાફરોને દિવાળી ભેટરૂપે દિલ્હીની નવી 2 ફ્લાઈટ મળી છે. જેમાં 26 ઓક્ટોબરથી 28 માર્ચ સુધીના વિન્ટર શેડયૂલમાં એર ઇન્ડિયા અને ઈન્ડિગો દ્વારા દિલ્હીની નવી 1 - 1 ફ્લાઈટ શરૂ કરવાનું જાહેર કરાયું છે. જેથી લાભપાંચમ(આવતીકાલ)થી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સીમાં વધારો થશે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈની 5, દિલ્હીની 2, પુણે, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની 1- 1 ફ્લાઈટની ઉડાન ભરી રહી છે. જ્યારે વિન્ટર શેડયૂલમાં દિલ્હીની વધુ 2 ફ્લાઇટ શરૂ થતા રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સી વધશે એટલે કે શિયાળુ સિઝનમાં રાજકોટથી દિલ્હી જવા માટે 4 ફ્લાઈટ ઉડાન ભરશે. રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટ આવતીકાલથી શરૂરાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2 વર્ષ બાદ દિલ્હીની સવારની ફ્લાઈટ 26 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ શરૂ થતા વેપારીઓ અને રાજકીય નેતાઓને ફાયદો થશે. ઈન્ડિગો દ્વારા 186 સીટર ફ્લાઈટ દરરોજ સવારે 8.05 વાગ્યે રાજકોટના હિરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રસ્થાન કરશે અને 9.50 વાગ્યે દિલ્હી પહોંચશે. જે બાદ દિવસ દરમિયાન કામ પૂર્ણ કરી સાંજની 5.30 ની ફ્લાઈટમાં દિલ્હીથી રાજકોટ પરત ફરી શકશે. જેથી બિઝનેસ કોમ્યુનિટી એક જ દિવસમાં દિલ્હી જઈ પરત ફરી શકશે. હાલ એરપોર્ટ પર 11 ફ્લાઈટની ઉડાન, જ્યારે બે ઉડાન વધતાં 13 ફલાઈટરાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે સ્થિત હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દૈનિક 8 સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ઈન્ડિગો દ્વારા દિલ્હીની વધારાની ફ્લાઇટ 8.05 વાગ્યાની તો એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ સવારે 10.10 વાગ્યાની શરૂ થવા જઈ રહી છે. જેથી રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સી વધશે અને તેનો ફાયદો હવાઈ મુસાફરોને થશે. નવી ફલાઈટ શરૂ થતા ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદોરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થાપના 27, જુલાઈ - 2023 ના ઉદ્ઘાટન થયુ. જે બાદથી દિલ્હીની સવારની ફ્લાઈટ બંધ હતી. જોકે હવે 2 વર્ષ બાદ રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થતા બિઝનેસ કોમ્યુનિટીને સૌથી મોટો ફાયદો થશે. કારણકે તેઓ પોતાના બિઝનેસ માટે રાજકોટથી દિલ્હી જઈ તે જ દિવસે રાજકોટ પરત ફરી શકશે. જોકે રાજકોટથી ચાઇના જવા માટેની કનેક્ટિંગ ફલાઈટ હજુ શરૂ નહીં થાય કારણકે ઈન્ડિગોના વિન્ટર શેડયૂલમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઇટ સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ કલકત્તાથી ચાઇનાની ફ્લાઈટ શરૂ થઈ જતા હવે ટૂંક સમયમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઈટની જાહેરાત થાય તો નવાઈ નહીં. રાજકોટથી દૈનિક 8 સહિત 11 ફલાઇટ ઓપરેટ થાય છે. આ ઉપરાંત 1 સુરત જતુ વેન્ચુરા 9 સીટર છે. જે પણ કાર્યરત છે ત્યારે રાજકોટથી દિલ્હી જવા નવી ફલાઈટ શરૂ થતા ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદો થશે. એર ઇન્ડિયાની ફ્લાઇટનું વિન્ટર શેડયૂલ ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન AI 2285/2286 - મુંબઈ - 8.30 - દૈનિક AI 0885/0886 - દિલ્હી - 10.10 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક AI 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક ઈન્ડિગોની ફ્લાઈટનું વિન્ટર શેડયૂલ ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન - દિવસો 6E 6558 - દિલ્હી - 8.05 - દૈનિક 6E 6132 - મુંબઈ - 9.00 - દૈનિક 6E 6245 - પુણે 10.25 - મંગળ, ગુરૂ, રવિવાર 6E 0155 - ગોવા - 12.00 - દૈનિક 6E 6371- હૈદરાબાદ - 15.55 - દૈનિક 6E 6508 - બેંગલોર - 16.15 - દૈનિક 6E 0937 - મુંબઈ - 16.55 - દૈનિક 6E 5009 - દિલ્હી- 17.55 - દૈનિક 6E 0274 - મુંબઈ - 19.55 - દૈનિક
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર સ્થિત ગોકુલ મિલ પ્રાંગણમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓ, પ્રદેશ અને સ્થાનિક સ્તરના પક્ષ આગેવાનો, હોદ્દેદારો તથા રાજપૂતના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વર્ષ નિમિત્તે પક્ષના કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો હતો. ઉપસ્થિતોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સિદ્ધપુર વિસ્તારના વિકાસ માટે તેમની નિરંતર પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી. રાજપૂતે પક્ષના કાર્યકર્તાઓના અતૂટ સહયોગ બદલ આભાર માન્યો અને વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ અને પગલાંઓ વિશે પણ માહિતી આપી. આ કાર્યક્રમ સિદ્ધપુર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિ વચ્ચેના નિકટના સંબંધો અને એકતાનો પુરાવો બન્યો. સમારંભનું સંચાલન સ્થાનિક પક્ષ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સર્વેનું ગરમ નાસ્તા અને ચા પાણીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી વર્ષનું સુંદર કેલેન્ડર ભેટ તરીકે આપવામાં આવ્યું હતું.
દહેજ નજીક ટેમ્પો પલટ્યો:6થી વધુ શ્રમિકોને ઈજા, 4નો આબાદ બચાવ
ભરૂચ જિલ્લાના દહેજ નજીક શ્રમિકોને લઈ જતો ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં છથી વધુ શ્રમિક મહિલાઓ અને બાળકોને ઈજા પહોંચી હતી, જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ટેમ્પો દહેજથી વાગરા તાલુકાના પાણીયાદરા ગામે જઈ રહ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે દહેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ રામદેવનગર પાસે આવેલ ભાવના સોસાયટીમાં રહેતી મહિલાએ તેના પતિએ હેન્ડસફ્રી બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીને બેઝબોલના ધોકા અને ઢીકા-પાટુ વડે માર માર્યો હોવાની પત્નીએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પતિએ પત્નીને બેઝબોલના ધોકાથી મારમાર્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, સવારે આશરે નવ વાગ્યે ક્રિષ્નાબા અને તેમના પતિ સહિત પરિવારના સભ્યો ઘરે હાજર હતા. તે સમયે પતિ જયદીપસિંહે ક્રિષ્નાબા પાસે પોતાની હેન્ડસફ્રી માંગી હતી. ક્રિષ્નાબાએ હેન્ડસફ્રી ક્યાં છે તેની જાણ ન હોવાનું જણાવતા, જયદીપસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ગાળો આપવા લાગ્યા હતા. જ્યારે ગાળો આપવાની ના પાડતાં જયદીપસિંહ વધુ ગુસ્સે થઈ ઘરમાં પડેલો બેઝબોલનો ધોકો લઈ આવ્યા હતા અને તેમને જમણા તથા ડાબા હાથે માર માર્યો હતો. આ ઉપરાંત, ઢીકા-પાટુ વડે પણ મુંઢ માર મારવામાં આવ્યો હતો. પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપીઆ ઘટના દરમિયાન ક્રિષ્નાબાના સસરાએ તેમને વધુ માર મારતા છોડાવ્યા હતાં. માર માર્યા બાદ જયદીપસિંહ જતા-જતા ક્રિષ્નાબાને ધમકી આપી હતી કે, જો તે આ વાત તેના માતા-પિતાને જણાવશે તો તેને જાનથી મારી નાખશે. ક્રિષ્નાબાએ જણાવ્યું કે, તેમના પતિ છેલ્લા ચારેક વર્ષથી કોઈને કોઈ બાબતે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને અવારનવાર ઝઘડા કરતા હોય છે. પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીઆ બનાવ બન્યા બાદ ક્રિષ્નાબાએ પોતાની માતા જ્યોત્સનાબા અને કાકા અમિતસિંહને ફોન કરીને જાણ કરતા ભાવનગર તેમના ઘરે આવ્યા હતા. ક્રિષ્નાબાને જમણા હાથની કાંડામાં ખૂબ દુખાવો થતો હોવાથી, તેમના કાકા તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ ક્રિષ્નાબા પોતાની માતા અને કાકા સાથે બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને પતિ જયદીપસિંહ ભરતસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 'પતિ છેલ્લા ચાર વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ આપતો'તેમણે જણાવ્યું કે તેમના પતિ છેલ્લા ચાર વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યા છે અને આજે સવારે હેન્ડસફ્રી ન આપતા ગાળો આપી, બેઝબોલના ધોકા અને ઢીકા-પાટુ વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કેટલીક ટ્રેનોમાં ટ્રાફિક વધુ રહેતો હોવાથી કેટલીક ટ્રેનોમાં વધારાનાં જનરલ કોચ જોડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત યાત્રીઓની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ–વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા સોમવારે 27 ઓક્ટોબરથી અમલમાં આવશે. વાંકાનેર મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો આવતીકાલે રદ્દ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ સોમવારથી ટ્રેન નંબર 59423 રાજકોટ–વેરાવળ અને ટ્રેન નંબર 59424 વેરાવળ–રાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો સામાન્ય કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. રેલવે ડિવિઝન દ્વારા કરવામાં આવેલી આ પહેલથી યાત્રીઓને વધુ સગવડતાપૂર્ણ મુસાફરીનો અનુભવ થશે, સાથે-સાથે ભીડના દબાણમાં પણ ઘટાડો થશે. આવતીકાલે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરાઈ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટેકનિકલ કારણોસર 26 ઓક્ટોબર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર 2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર 3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર 4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર 5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર 6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર 7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી 8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી 9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી 10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી 11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી 12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી ઉલ્લેખનીય છે કે, યાત્રીઓ ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય-પત્રક સંબંધિત વિસ્તૃત જાણકારી માટે ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.inપર જવા રેલવે તંત્રની યાદીમાં જણાવાયું છે. રાજકોટ તરફથી સોમનાથ જતા અને સોમનાથથી રાજકોટ તરફ આવતા મુસાફરોને આ સુવિધાનો મોટા પ્રમાણમાં લાભ મળશે. અને પ્રથમ જ્યોતિર્લિંગનાં દર્શન કરવામાં સગવડ વધશે.
કલોલનો પરિવાર જેસલમેરથી સાબરમતી ટ્રેનમાં બેસી પોતાના ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન પરિવારના સભ્યોએ ચાર મોબાઈલ એક બેગમાં મુક્યા હતાં.આ દરમિયાન પરિવારના સભ્યો સુઈ ગયા હતા એ સમયે આ તકનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ બેગ ચોરી કરી ફરાર થયા હતા.સમગ્ર ઘટના અંગે મહેસાણા રેલવે પોલીસ મથકમાં ચાર મોબાઈલ અને બેગ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બેગમાં 4 ફોન રાખ્યા ને ચોરોએ લૂ્ટ્યાગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા પ્રજાપતિ જયરાજભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે જેસલમેર ગયા હતાં અને ત્યાંથી પરત જેસલમેર સાબરમતી ટ્રેનમાં ઘરે આવી રહ્યા હતાં, એ દરમિયાન ટ્રેન નંબર 20492માં આવેલા એસ6 નંબરના કોચમાં તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે બેઠાં હતાં.આ દરમિયાન બપોરનો સમય હોવાથી પરિવારના સભ્યોએ ચાર જેટલા ફોન જયરાજભાઈને રાખવા માટે આપ્યા હતા અને જયરાજભાઈએ એ ફોન પોતાની બેગમાં મુક્યા હતાં. તસ્કરો બેગ લઈને ફરારા થયાઆ દરમિયાન રાત્રી દરમિયાન તેઓ સુઈ ગયા હતા એ દરમિયાન અજાણ્યા કોઈ તસ્કરો તેઓની બેગ ચોરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના બાબતે ફરિયાદીને રાત્રે 3 વાગે જાણ થતાં તેઓએ તપાસ કરી હતી પરંતુ બેગ ક્યાંય મળી આવી નહોતી. બાદમાં આ બાબતે ટીટીઇને જાણ કરી હતી જોકે એ સમયે ફરિયાદી પાસે મોબાઈલના બિલ ન હોવાથી ફરિયાદ કરી નહોતી અને બાદમાં તેઓ ઘરે ચાલ્યા ગયા હતા. સમગ્ર ઘટનામાં ફરિયાદી મહેસાણા રેલવે પોલીસ મથક આવી ચાર મોબાઈલ કિંમત 35000ના ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
ધાનેરાની ચીકી ફેક્ટરીમાં આગ:મીત ગૃહ ઉદ્યોગને મોટું નુકસાન, ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલી મીત ગૃહ ઉદ્યોગ નામની ચીકી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ફેક્ટરી માલિકને મોટું નુકસાન થયું છે. અગમ્ય કારણોસર લાગેલી આ આગને કારણે ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ શરૂઆતમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આગ કાબૂમાં ન આવતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગના કારણે ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે.
નવા વર્ષે નવસારી સિવિલમાં 7 બાળકોનો જન્મ:જેમાંથી 5 બાળકી, ડોક્ટરોએ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી
નવા વર્ષના પ્રથમ દિવસે નવસારી સિવિલ હોસ્પિટલમાં કુલ સાત બાળકોનો જન્મ થયો હતો. આ સાત બાળકોમાંથી પાંચ બાળકીઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. ડોકટરોની ટીમે સફળતાપૂર્વક આ તમામ ડિલિવરી કરાવી હતી. વિક્રમ સંવત 2082 ના પ્રથમ દિવસે જ આ શુભ સમાચાર મળ્યા હતા. હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા આ પ્રસૂતિઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હાલમાં તમામ નવજાત શિશુઓ અને તેમની માતાઓ સ્વસ્થ છે. આ અંગે માહિતી આપતા RMO ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆત સિવિલ હોસ્પિટલ માટે ખુશીનો અવસર લઈને આવી છે. કુલ સાત બાળકોનો જન્મ થયો છે, જેમાં પાંચ બાળકીઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અમારી ડોકટરોની ટીમે મહિલાઓની ડિલિવરી સફળતાપૂર્વક કરાવી છે અને તમામ બાળકો સ્વસ્થ છે. સમાજમાં હવે બાળકીના જન્મ પ્રત્યે જાગૃતિ વધી રહી છે, અને પરિવારો દીકરીઓના જન્મની પણ ઉત્સાહભેર ઉજવણી કરતા થયા છે.
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગર ખરીફ પાકનો પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી, ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે. કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે, સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને જીનિંગ મિલમાં સ્ટોરેજ કરાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. ડાંગરનો પાક બચાવવા ખેડૂતો 18 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. જીનિંગ મિલ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે. ઓલપાડના ખેડૂતોની હાડમારીસુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરના તૈયાર પાકને બચાવવા માટે ભારે હાડમારી વેઠી રહ્યા છે. ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતો પોતાનો ડાંગરનો માલ લઈને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે પહોંચ્યા છે, પરંતુ ત્યાં ડાંગર સ્ટોરેજ કરાવવા માટે ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી છે. ખેડૂતો 15થી 18 કલાક સુધી ઊભા રહેવા મજબૂરખેડૂતો મિલની બહાર ટ્રેક્ટર લઈને 15થી 18 કલાક સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એક જ છે: વરસાદ આવે તે પહેલાં તેમનો આ ડાંગરનો પાક સુરક્ષિત રીતે ગોડાઉનમાં મુકાય જાય અને નુકસાનથી બચી શકાય.જીનિંગ મિલ ખાતે રોજના લગભગ 200 ટ્રેક્ટર ખાલી થઈ રહ્યા છે, તેમ છતાં વરસાદની આગાહી અને એકસાથે તમામ ખેડૂતોના આવવાને કારણે માલનો નિકાલ ખૂબ ધીમો છે. ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા છે, જે તેમની ચિંતા અને મજબૂરી દર્શાવે છે. અગાઉના વર્ષે માવઠાને કારણે ડાંગરનો પાક પલળી ગયો હતોખેડૂતોને ગયા વર્ષે પડેલા કમોસમી વરસાદનો કડવો અનુભવ હજી યાદ છે. અગાઉના વર્ષે માવઠાને કારણે ડાંગરનો પાક ખેતરોમાં અને ખુલ્લામાં પલળી ગયો હતો, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું. આ વર્ષે ફરીથી તેવી સ્થિતિ ન થાય અને નુકસાન ન થાય તે માટે જગતનો તાત ડાંગરની કાપણી કરીને તાત્કાલિક ગોડાઉન તરફ દોડી આવ્યો છે. પાકને કમોસમી વરસાદના કહેરથી બચાવવા ખેડૂતોની માગહવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, ખેડૂતો સરકાર અને વહીવટી તંત્ર પાસે ડાંગરના પાકનો તાત્કાલિક અને ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરી રહ્યા છે. ગોડાઉનમાં માલ ઉતારવા માટે મજૂરોની સંખ્યા વધારવામાં આવે, તેમજ મિલ સંચાલકો દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી કરવામાં આવે તો જ આ તૈયાર પાકને કમોસમી વરસાદના કહેરથી બચાવી શકાય તેમ છે. ડાંગરના પાકનું રક્ષણ એ હાલમાં દક્ષિણ ગુજરાતના જગતના તાત માટે સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે.
સુરત ખાતે વકીલાતનો વ્યવસાય કરતા અને દિવાળી નિમિત્તે વતન મઢડા ભાવનગર ખાતે દિવાળી કરવા આવેલા વકીલને તેના ગામ સિહોરમાં પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદમાં જુદા-જુદા 5 મોબાઈલ નંબરો પરથી ગાળો આપી જાનથી મારી નાખવાની આપી હતી. આ મામલે વકીલે સિહોર પોલીસ સ્ટેશનમાં 5 મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ બાઈકનો ફોટો પાડી ગામના વ્હોટ્સએપ ગ્રુપમાં નાખ્યોઆ બનાવ અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, ફરિયાદી રાત્રે આશરે 9:30 વાગ્યે બ્રિજેશભાઈ વાડીએથી પોતાની ફોર-વ્હીલ લઈને ઘરે પરત ફરતા હતા, ત્યારે ગામની શેરીના નાકા પાસે GJ 04 DP 9094 નંબરનું એક ટુ-વ્હીલર રસ્તામાં નડતરરૂપ પાર્ક કરેલું હતું. હોર્ન વગાડવા છતાં કોઈએ વાહન ખસેડ્યું નહોતું, આથી તેમણે ગાડીમાંથી ઉતરીને નડતરરૂપ વાહનનો ફોટો પાડીને ગામના વ્હોટ્સએપ ગ્રૂપમાં આ રસ્તામાં ગાડી રોજ પડી હોય છે તેવા લખાણ સાથે મૂક્યો હતો. એક શખસે ઘરમાં આવી ધમકી આપીત્યારબાદ, રાત્રે 9:54 વાગ્યા આસપાસ અજાણ્યા ઈસમોએ ફરિયાદીને જુદા-જુદા 5 મોબાઈલ નંબરો પરથી સતત ફોન કરીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ફોન કરનારે ગ્રૂપમાં ફોટો મૂકવા બદલ ગાળો ભાંડતા કહ્યું કે, આજે તને પતાવી દેવો છે અને તું તારા બાપાને લઈને આવી જા. બાદમાં કેટલાક અજાણ્યા ઈસમો ફરિયાદીના ઘરના ડેલા પાસે આવી ગયા હતા. તેમાંથી એક વ્યક્તિએ ઘરમાં આવીને ફોટો ડિલિટ કરી 'સોરી' લખી નાખવા જણાવ્યું હતું. ત્યારબાદ, ઘરના ડેલાને લાત મારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. વકીલે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવીતેના ઘરે જાનનું જોખમ લાગતા બ્રિજેશએ તુરંત જ 100 નંબર પોલીસ ઈમરજન્સી પર ફોન કર્યો હતો. પોલીસ આવવાની જાણ થતાં ધમકી આપનાર ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા. સમગ્ર બનાવ અંગે બ્રિજેશ ભાયાણીએ પોતાના મોટા બાપાના દીકરા સાથે શિહોર પોલીસ સ્ટેશન પહોંચીને જુદા-જુદા 5 મોબાઈલ નંબરવાળા તમામ અજાણ્યા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે.
નવસારીમાં બ્રિજ નીચે કચરાના ઢગમાં આગ:સ્થાનિકોમાં ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
નવસારી શહેરના ઉત્તર છેડે આવેલી મિથિલા નગરી સોસાયટીના પ્રવેશ દ્વાર પાસેના મીની બ્રિજ નીચે કચરાના ઢગમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્રિજ નીચે ભેગા થયેલા કચરામાં આગ લાગતા તે ઝડપથી ફેલાઈ રહી હતી. સ્થાનિક નાગરિકોએ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક મિથિલા નગરી બ્રિજ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ બ્રિજ ઉપરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ ટીખળખોર વ્યક્તિએ કચરામાં આગ લગાડી હોઈ શકે છે. દિવાળીના સમયગાળા દરમિયાન કચરામાં ફટાકડો સળગાવવાથી પણ આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમયસર કાર્યવાહી થતા આગ કાબૂમાં આવી ગઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ નજીક હાઇવે પર એક યુવક પર ચાર અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને ધોકા અને પંચ વડે માર મારી, તેનો વીડિયો ઉતાર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી પ્રભુભાઈ તુલશીભાઈ ઠાકોર (ઉંમર 32, રહેવાસી: ડામરકા, રાધનપુર) એ પોલીસને જણાવ્યું કે, તેઓ ધરવડી ગામેથી પોતાનું મોટરસાયકલ લઈને ઘરે આવી રહ્યા હતા. સરદારપુરા ગામ પાસે હાઇવે રોડ પર સિમેન્ટના થાંભલાની ફેક્ટરી નજીક એક પલ્સર બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ રોડની રોંગ સાઇડમાં આવીને તેમનું મોટરસાયકલ ઊભું રખાવ્યું હતું. હુમલાખોરોએ પ્રભુભાઈને પૂછ્યું કે તેઓ ક્યાંથી આવે છે અને તેમને માર મારવાની વાત કરી. પ્રભુભાઈએ ઓળખ ન હોવા છતાં માર મારવાનું કારણ પૂછતાં, હુમલાખોરોએ તેમનો વીડિયો બનાવવાનો હોવાનું જણાવ્યું. ત્યારબાદ ચાર પૈકી એક ઇસમે ધોકા વડે પ્રભુભાઈને બરડાના ભાગે માર્યો. બીજાએ લોખંડના પંચ પહેરીને શરીરના ભાગે આડેધડ માર માર્યો, જ્યારે ત્રીજાએ ગડદાપાટુનો માર માર્યો. આ હુમલામાં પ્રભુભાઈને ડાબા હાથે અને જમણા હાથના અંગૂઠા પર ધોકા વાગ્યા હતા, અને ડાબા હાથમાંથી લોહી નીકળ્યું હતું. ત્રણ ઇસમો માર મારી રહ્યા હતા ત્યારે ચોથા ઇસમે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. માર માર્યા બાદ ચારેયે પ્રભુભાઈને ગાળો ભાંડી અને ધમકી આપી કે જો તેઓ આ વાત કોઈને કહેશે અથવા તેમને ફરી મળશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટના દરમિયાન ફરિયાદીના પેન્ટના ગજવામાંથી આશરે 800 રૂપિયા પડી ગયા હતા. હુમલાખોરો પોતાનું પલ્સર મોટરસાયકલ લઈને થરા તરફ હાઇવે રોડ પર ફરાર થઈ ગયા હતા. પ્રભુભાઈએ તેમના મોટાભાઈ રમેશભાઈ અને હીરાભાઈને આ ઘટનાની જાણ કરી હતી. બાદમાં સાંજે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. sanju_baba_1313 પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ થયેલો જોવા મળ્યો હતો. પ્રભુભાઈએ સરકારી દવાખાને સારવાર લીધી હતી અને ચારેય અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 118(1), 115(2), 352, 296(b), 351(3), 5 તેમજ જી.પી.એ.ની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
નવસારીમાં બે ગેંગ વચ્ચે મારામારી:રેમ્બો ચપ્પુથી હુમલામાં ત્રણ ઘાયલ, પોલીસ તપાસ શરૂ
નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના વિરાવળ જતા બોસ્ટન ટી સામે આશરે 12 વાગ્યે બની હતી. મારામારીમાં રેમ્બો ચપ્પુ સહિતના ધારદાર હથિયારોનો ઉપયોગ થયો હતો, જેના કારણે ઘાયલોને ચપ્પુના ઘા વાગ્યા હતા. આ મારામારીમાં આસિફ, ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે.હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ સારવાર હેઠળ છે, જ્યારે આસિફ અન્ય જગ્યાએ સારવાર મેળવી રહ્યો હોવાની માહિતી મળી છે. સિદ્ધુ થોરાટ નામનો આરોપી શહેરમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલો છે. ભૂતકાળમાં મારામારીના એક કેસમાં વિઠ્ઠલ મંદિર વિસ્તારમાંથી તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.આવા ગુનાહિત તત્વો દ્વારા શહેરમાં ગુનાખોરી આચરવામાં આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ ઉઠી છે. પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ આણંદ જિલ્લામાં ગંભીરા નદી પર બની રહેલા નવા બ્રિજના નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલા કામની વિસ્તૃત સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીએ બ્રિજના નિર્માણ કાર્યમાં ગુણવત્તા અને ગતિ જાળવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ નવો બ્રિજ ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા અને આણંદ જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. આ નવો બ્રિજ બોરસદ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને વડોદરા તથા આણંદ જિલ્લાઓ માટે વિકાસનો નવો માર્ગ ખોલશે. મુલાકાત દરમિયાન, મંત્રીએ બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરમાં દર્શન કર્યા અને બ્રિજનું નિર્માણ ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 9 જુલાઈના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. જેમાં પાંચથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા અને 22 લોકોના કરુણ મોત થયા હતા.
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામની 26 વર્ષીય મહિલાની સુખસર 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી. મહિલાને લોહીની ઉણપ અને ઉચ્ચ રક્તચાપને કારણે સંતરામપુર રિફર કરવામાં આવી હતી, ત્યારે રસ્તામાં જ પ્રસવ પીડા ઉપડતા એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ડિલિવરી કરાવી, જેમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રસવની પીડા શરૂ થતાં મહિલાને સુખસરના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.)માં લાવવામાં આવી હતી. ત્યાં ડૉ. સોનલબેને તપાસ કરતાં જણાયું કે પ્રસૂતાને લોહીની ઉણપ અને હાઈ બીપીની સમસ્યા છે. આથી, તેમને વધુ સારવાર માટે સંતરામપુરની ખાનગી હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મહિલાને સંતરામપુર લઈ જવા માટે સુખસર 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. એમ્બ્યુલન્સના પાયલટ રાજપાલ સિંહ ચૌહાણ અને ઇએમટી રમેશભાઈ મકવાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, સુખસરથી લગભગ 4 કિલોમીટર દૂર વડા તળાવ પાસે પહોંચતા જ પ્રસૂતાને તીવ્ર પ્રસવ પીડા શરૂ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા, એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ડૉ. એન્સ અને ડૉ. શાહના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. આ સફળ ડિલિવરી બાદ માતા અને નવજાત બાળક બંનેને સુરક્ષિત રીતે સંતરામપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તપાસ બાદ માતા અને બાળકની તબિયત સ્થિર અને સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાથી પરિવારજનોને ખાનગી હૉસ્પિટલના ખર્ચમાંથી બચાવવામાં આવ્યા હતા અને તેમણે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

28 C