જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અક્ષરપુરુષોત્તમ મહારાજની ઉપસ્થિતિમાં બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી, ધજા ફરકાવી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના સ્વાગત અને દર્શન માટે મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજા દર્શન, પારાયણ અને 'વાલમના વધામણા' સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ભવ્ય સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સંતો અને હરિભક્તો વતી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મનીતિ સ્વામી સહિતના સંતોએ મહંત સ્વામી મહારાજને ફૂલહાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં હરિભક્તોની જનમેદની ઉમટી પડી હતી. મહંત સ્વામીના દર્શન કર્યા બાદ આરતી યોજાઈ હતી અને 'વાલમના વધામણા' કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત હજારો હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સ્વાગત સમારોહમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ જામનગર વતી સ્વાગત કર્યું હતું. મેયર વિનોદ ખીમસુરીયાએ જામનગરની જનતા વતી સન્માન પત્ર આપી મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, મેરામણ ભાટુ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી મહંત સ્વામીના દર્શન કરી સ્વાગત કર્યું હતું.
રાજ્યના સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીએ મોડી પણ મક્કમ પકડ જમાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા સ્થળો તરીકે નોંધાયા છે, જ્યાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ખાસ કરીને, જિલ્લામાં સૌથી વધુ ઠંડી અનુભવતા નલિયામાં આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ સમાંતર સ્તરે ઠંડી નોંધાઈ છે, જેના કારણે આ બંને સ્થળો રાજ્યના સૌથી મોખરાના શીત કેન્દ્રો બન્યા છે. જિલ્લા મથક ભુજ શહેરમાં પણ ઠંડીનો પારો નીચે સરક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આજે ભુજમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડીની અસર જનજીવન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વહેલી સવારે દૈનિક રોજગાર માટે નીકળતા લોકો અને શાળાએ જતા બાળકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા જોવા મળ્યા હતા. જાહેર માર્ગો પરથી પસાર થતા લોકો પણ ઠંડીનો અનુભવ કરતા નજરે પડ્યા હતા. એક તરફ હવામાન નિષ્ણાતો દ્વારા આ વખતે કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ પ્રારંભિક ઠંડીની ચમક જોતા હાલ તો ઠંડી વધુ વધે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
હુડા માટે 5297 વાંધા અરજી મળી:હવે આગળની કાર્યવાહી શરૂ કરાઈ
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ના ડ્રાફ્ટ પ્લાન સામે વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 5297 વાંધા અરજીઓ મળી છે. હવે આ અરજીઓ પર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. HUDAની રચના હિંમતનગર આસપાસના 11 ગામનો સમાવેશ કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ તેનો ડ્રાફ્ટ નકશો 8 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ પ્લાન પ્રસિદ્ધ થયા બાદ હિંમતનગર આસપાસના 11 ગામોમાં વિરોધ શરૂ થયો હતો. આ વિરોધના ભાગરૂપે હુડા સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી અને વિવિધ વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વાંધા અરજીઓ રજૂ કરવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે 8 નવેમ્બરના રોજ પૂર્ણ થયો. હુડાના મુખ્ય કારોબારી અધ્યક્ષ અને સાબરકાંઠા જિલ્લા અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે મહિના દરમિયાન 5297 વાંધા અરજીઓ પ્રાપ્ત થઈ છે. હવે આ અરજીઓ પર નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રત્નકલાકારો પોતાના વતનથી નવસારી પરત ફર્યા છે, પરંતુ હીરા ઉદ્યોગમાં છવાયેલી મંદીના કારણે કારખાનાઓ શરૂ થવામાં એક મહિના સુધીનો વિલંબ થવાની સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય રીતે બાળકોની શાળા ખુલવાની સાથે જ પૂર્ણ થતું હીરાનું વેકેશન આ વર્ષે નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં પૂર્ણ થવાની સંભાવના છે. મંદીના મુખ્ય કારણોવૈશ્વિક બજારમાં પોલિશ્ડ ડાયમંડની માંગમાં થયેલો ઘટાડો, વૈશ્વિક યુદ્ધની અસર અને ટ્રમ્પ ટેરિફ જેવા પરિબળો આ મંદી માટે જવાબદાર હોવાનું વેપારીઓ અને રત્ન કલાકારો સ્વીકારી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી આ પરિસ્થિતિ યથાવત સ્થિતિમાં રહેવા પામી છે, પોલીસ થયેલા ડાયમંડની બજારમાં માંગમાં ઘટાડો થયો છે સાથે જ તેના ભાવ પણ નીચા બોલાય છે જેને કારણે વેપારીઓ નીચા ભાવે પોલીસ ડાયમંડ વેચતા વધુ આર્થિક નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે. કારીગરોની વિકટ પરિસ્થિતિકારીગરો વતનથી પરત ફર્યા હોવા છતાં, એક મહિના સુધી કામ વિના ઘરે બેસી રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આના કારણે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે તેમ છે. હાલમાં રત્ન કલાકારો શેઠિયાઓને મળીને કારખાનાઓ ક્યારે શરૂ થશે તેની પૂછપરછ કરી રહ્યા છે. દર મહિને રત્ન કલાકારોને ઘરનું ભાડું, ઇએમઆઇ, બાળકોની સ્કૂલની ફીસ સહિત ઘર ચલાવવા જોઈ તો ખર્ચ ક્યાંથી કાઢશે તેવી ચિંતા તેમને કોરી ખાઈ રહી છે. કારીગરોએ એક મહિનો દેવુ કરીને પસાર કરવો પડશે અથવા નજીકના સબંધીઓ પાસે પૈસા ઉધાર લઈને ગુજરાન ચલાવશે. નવસારીના ઉદ્યોગની વર્તમાન સ્થિતિનવસારીમાં હીરાની ઘંટીઓ ખાલી છે, જે મંદીનો સ્પષ્ટ પુરાવો આપી રહી છે. શાંતાદેવી, મિથિલા નગરી અને જલાલપોર જેવા વિસ્તારોમાં આવેલી હીરાની ઘંટીઓ સુમસામ ભાસી રહી છે. એક સમયે દક્ષિણ ગુજરાતમાં પોલકી હીરાનું સૌથી મોટું હબ ગણાતો નવસારી જિલ્લો હવે માત્ર ઝીણા હીરાનું કામ કરતો થયો છે.વર્તમાન સમયમાં નવસારીમાં હીરાનો વ્યવસાય પોતાના અસ્તિત્વની લડાઈ લડતો હોય તેમ અત્યંત ધીમી ગતિએ કાર્યરત છે. આ સ્થિતિમાં, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો ઝડપી સુધારાની આશા રાખી રહ્યા છે. દિવાળી બાદ મોટાભાગના કારીગરો પરત ફરતા નથીછેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદીથી કંટાળી અનેક રત્ન કલાકારો વ્યવસાયના બીજા વિકલ્પોની શોધમાં હોય તેમ છેલ્લા અનેક વર્ષના આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં રત્ન કલાકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે વતન જતા રત્ન કલાકારો ખેતી સહિત અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે જેને કારણે આગામી સમયમાં નવસારી જિલ્લામાં રત્ન કલાકારોનો શૂન્ય અવકાશ સર્જાય તો નવાઈ નહીં તેવી સ્થિતિએ જન્મ લીધો છે. 'શાળાઓ ખુલી ગઇ પણ કારખાના શરૂ ન થયા'હીરા ઉદ્યોગના પ્રતિનિધી રાજુ દેરાસરીયએ જણાવ્યું કે, હીરા બજારમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, જે સામાન્ય રીતે દિવાળી પછી લગભગ બે અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય છે. જો કે, આ વર્ષે ભારે મંદીના કારણે, તેમને લાગે છે કે કારખાનાઓ નવેમ્બરના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ફરી શરૂ થશે. રત્નકલાકારોએ પોતાના બાળકોની શાળાઓ ખૂલી ગઈ હોવાથી પરત આવી ગયા છે, પરંતુ કારખાનાઓ શરૂ ન થાય ત્યાં સુધી તેમને કામ મળશે નહીં. વધુમાં, જ્યારે કારખાનાઓ ચાલી રહ્યા હોય ત્યારે પણ, વેપારીઓ માત્ર 50 ટકા જેટલો જ માલ (કામ) આપી રહ્યા છે. કામમાં આ ઘટાડાનો અર્થ એ છે કે જે કારીગર અગાઉ ₹15,000 થી ₹25,000 કમાતો હતો, તે હવે માત્ર ₹10,000 થી ₹12,000 જ કમાણી કરી રહ્યો છે. વેકેશન મોડું થવાનું અને કામ ઓછું મળવાનું મુખ્ય કારણ મંદી છે, કારણ કે વેચાણના અભાવે હીરાના વેપારીઓને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરવાની ફરજ પડી છે. 'અમે આ બધું કેવી રીતે પૂરું કરીશું?'અમરેલીના લાઠીના રત્ન કલાકાર જણાવે છે કે, મારું નામ રાજુ છે. હું છેલ્લા 30 વર્ષથી હું નવસારીમાં હીરાના કારીગર તરીકે કામ કરું છું. હાલમાં પરિસ્થિતિ બહુ નબળી છે. દિવાળી પહેલા પણ નબળી હતી અને અમને કહેવામાં આવ્યું હતું કે દિવાળી પછી સુધારો થશે, પરંતુ જ્યારે અમે અહીં પાછા આવ્યા, ત્યારે પરિસ્થિતિ એની એ જ છે. એવું લાગે છે કે તે હજી એક મહિનો બંધ રહી શકે છે. આ ઊભી થયેલી પરિસ્થિતિમાં અમારે અમારા બાળકોના ભણતર અને અન્ય ખર્ચાઓનું સંચાલન કરવું પડે છે. અમે આ બધું કેવી રીતે પૂરું કરીશું? અત્યારે તો અમે સગાં-વહાલાંની મદદ લઈને કામ ચલાવી રહ્યા છીએ. અમે ફક્ત ઉપરવાળાની આશા લઈને બેઠા છીએ. અત્યારે તો તેઓ કહે છે કે એક મહિનો લાગશે, પણ મને નથી લાગતું કે એક મહિનામાં તે ખૂલી જશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ માટે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરમાં મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આ શિબિર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી શહેરના ત્રણ સ્થળોએ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શક્તિનાથના માતરીયા તળાવ ખાતે અને વડદલાની સાઈ આશિષ સોસાયટી ખાતે દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી યોજાશે. મોટાપાથી પીડાતા લોકો માટે આયોજિત આ 30 દિવસીય શિબિરનો હેતુ યોગ અને આરોગ્યદાયક જીવનશૈલી દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવાનો છે. શિબિર દરમિયાન ભાગ લેનાર સાધકોના મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવશે અને નિષ્ણાત ડૉક્ટરો તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ અંગે માર્ગદર્શન અપાશે. શિબિરના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયત ઝાડેશ્વર સભ્ય શૈલાબેન પટેલ, યોગ બોર્ડના ભાવિની ઠાકર સહિતના શહેરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટ્ય અને શંખનાદથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્રણેય સ્થળોએ કુલ 200 થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિબિરને ઉર્જાસભર શરૂઆત આપી હતી. આ અભિયાન દ્વારા યોગ બોર્ડ અને જિલ્લા સંકલન ટીમ ભરૂચ શહેરને સ્વસ્થ અને ફિટ બનાવવા માટે પ્રયત્નશીલ છે.
મહેસાણાના લાંઘણજ ગામની એક મહિલાને લગ્નના 3 જ મહિનામાં સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. સાસરિયાઓએ વિસનગરના તબીબ સાથે મળી મહિલાની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવ્યો. સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકે મહિલાના પતિ, સાસુ, સસરા અને તબીબ સહિત 4 શખસો સામે ગુનો નોંધાયો હતો. માણસામાં સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતામહેસાણા તાલુકાના મૂળ લાંઘણજ ગામના વતની અને હાલમાં ગોઝારીયા ખાતે આંટામાં રહેતા ફાલ્ગુનીબેન મુકેશભાઈ નાયીની ફરિયાદ મુજબ તેમના પ્રથમ લગ્ન અમદાવાદમાં મિતેષ વિનોદભાઈ લીંબાચીયા સાથે થયા હતા. જ્યાંથી મનમેળ ન આવતા પોતાની દીકરીને સાથે લઈ ત્યાંથી છુટાછેડા લઈ તેઓ પોતાના પિયરમાં આવી પિતાના ઘરે રહેતા હતા. જ્યાં તેમને તેમના ગામના કમુબેન રાવળે કુકરવાડાના કેતન દિનેશભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો હતો. જેથી તે બન્ને એકબીજાના પરિચયમાં આવતા માણસા ખાતે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સાસરિયાઓના કહેવાથી તબીબે મહિલાનો ગર્ભપાત કરાવ્યોજે બાદ મહિલા તેની સાસરીમાં અમદાવાદના નાના ચિલોડા ખાતે મેલબોન લાઈફ સ્ટાઈલમાં રહેતા હતા. જ્યાં મહિલાના સાસુ અને સસરા તેમજ પતિ દ્વારા લગ્ન બાદ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી હતી. ત્યાં મહિલા પ્રેગનેટ હોવાની જાણ થવા છતાં સાસરીમાં ત્રાસ મળતા તે પોતાના પિતાના ઘરે આવી રહેવા લાગી હતી.જેથી તેમના સાસરિયાઓએ તેના પિયરમાં આવી મહિલાની સારવાર કરાવવાના બહાને વિસનગરની શારદા મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં ડૉ.ભગુભાઈ ચૌધરીને ત્યાં લઈ ગયા હતા. જ્યાં મહિલાની જાણ બહાર સાસરિયાઓના કહેવાથી તબીબે મહિલાનો ગર્ભપાત કરાવતા મહિલાને ઘરે ગયા બાદ હાલત કથડી હતી. મહિલાએ અન્ય હોસ્પિટલમાં સારવાર લેતા ગર્ભપાત કરાવ્યાનું સામે આવ્યુંજેથી મહિલાએ માણસા ખાતે અન્ય હોસ્પિટલમાં સારવાર લેતા તેની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલાએ સમગ્ર મામલે તેના પર ત્રાસ ગુજારી ગર્ભપાત કરાવનાર તેના પતિ કેતન દિનેશભાઈ પટેલ, સાસુ મીનાબેન દિનેશભાઈ પટેલ, સસરા દિનેશભાઈ પટેલ અને વિસનગરના તબીબ ડૉ.ભગુભાઈ એમ. ચૌધરી વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે તમામ 4 શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં એક જ રાત્રિ દરમિયાન 2 વાહન ચાલકોને ગાય આડે આવી ગઈ હતી. જેમાં વડોદરાના મહેસાણાનગર પાસે ગાયની અડફેટે એક બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. જેના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુ થતાં ફતેગંજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ અન્ય એક બનાવમાં સોમા તળાવ પાસે બુલેટ ચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો હતો. જેના કારણે યુવકને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગાય આડે આવી જતા ડિવાઇડર સાથે ટકરાતા મોતવડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદિપ નેગી શનિવારે(8 નવેમ્બર) રાત્રે બાઇક લઈને તેમના મિત્ર પ્રશાંત ઐયરને મળવા માટે ગયા હતા. યુવક જતો હતો ત્યારે રસ્તામાં ગાય આવી જતા ગાય સાથે અથડાયો હતો. જેને કારણે સંદિપ ડિવાઈડર સાથે ટકરાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં પ્રંશાતભાઈને ફોન આવ્યો હતો કે, આ મોબાઈલવાળા વ્યક્તિનો મહેસાણાનગર પાસે અકસ્માત થયો છે. આ બાબતે પ્રશાંતભાઈએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગાય વચ્ચે આવી જતા બુલેટ ચાલક 15 ફૂટ ઢસડાયોઅન્ય એક બનાવમાં માંજલપુર ખાતે રહેતો ભાવિન પટેલ પોતાના મિત્રને મળવા માટે ગયો હતો. ભાવિન રાત્રિના 10 વાગ્યાના અરસામાં તેનું બુલેટ લઈને સોમા તળાવથી માંજલપુર ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે સોમા તળાવ પાસે અચાનક તેની બુલેટની આગળ ગાય આવી જતા તેણે સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે તે 15 ફૂટ રોડ પર ઢસડાતાં લોહીલુહાણ થઈ ગયો હતો. 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને કાનના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સમયે 20-25 ગાયો આટા મારતી હતીસોમા તળાવ પાસે ભાવિન પટેલનો અકસ્માત થયો ત્યારે 20થી 25 ગાયો આટા મારી રહી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, રખડતી ગાયોથી વિસ્તારમાં ખૂબ જ તકલીફ છે. 1 મહિનામાં 300થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં પૂરી: અધિકારીવડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના અધિકારી વિજય પંચાલે જણાવ્યું હતું કે, રાઉન્ડ ધ ક્લોક અમારી કામગીરી ચાલી રહી છે અને અમે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ગાયો પકડીને ઢોર ડબ્બામાં પૂરી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં અમે 300થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં પૂરી છે.
મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી
Major Terror Plot Foiled: જમ્મુ અને કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડૉક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીએ દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે અને આતંકવાદી નેટવર્કના નવા જોડાણો તરફ ઈશારો કર્યો છે. ડોક્ટરના રૂમમાંથી શું મળ્યું? સૂત્રોના જણાવ્યાનુસાર, માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ખાસ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો હતો. પોલીસે રૂમમાંથી નીચે મુજબનો સામાન જપ્ત કર્યો છે.
મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર પણ રોડની સાઇડમાં પાર્ક કરેલ આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય આઠેક લોકોને ઇજાઓ પહોંચી છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ફરિયાદી મજૂરોને રિક્ષામાં લઈને જઈ રહ્યાં હતાંઆ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત રિક્ષા ડ્રાઈવર પંકજજી પ્રહલાદજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, લેકાવાડા ખાતે કમલેશભાઇ પટેલે ખેતરમાં બટાકાનુ બિયારણ કાપવા મજૂરી અર્થે બોલાવ્યા હતા, જેથી પંકજજી ગામના શૈલેષ વિક્રમજી ઠાકોર, લીલાબેન કાંતીજી ઠાકોર, અર્જુન કાંતીજી ઠાકોર, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, મુન્નિબેન કાંતીજી ઠાકોર તથા પુનમબેન બળદેવજી ઠાકોરને રિક્ષામાં લઈને નીકળ્યા હતા. અકસ્માત સર્જી ઈનોવાનો ચાલક ફરાર તે વખતે દહેગામ મોટા ચિલોડા રોડ ઉપર કેશવ હોટલ નજીક ઇનોવા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી રિક્ષાને ટકકર મારી હતી, જેથી રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઇને પલ્ટી મારી ગઈ હતી. જ્યારે ઇનોવા ગાડી રોડની સાઈડમાં નજીકમાં પાર્ક કરેલ એક આઇવા ગાડીની ડિઝલ ટાંકી વાળા ભાગે અથડાઈ હતી. આ અકસ્માત સર્જી ગાડી મુકીને ચાલક નાસી ગયો હતો. રિક્ષામાં સવાર એક મહિલાનું મોત, અન્યને ઈજાઅકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રિક્ષામાંથી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ કરતાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી માટીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ ₹18,58,543/-નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ દારૂ રાજસ્થાનથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. સાંતલપુર પોલીસ સ્ટાફ પીપરાળા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, રાજસ્થાન પાર્સિંગનું ટ્રેલર નંબર RJ-19-GE-1128 રાધનપુર તરફથી કચ્છ જઈ રહ્યું હતું. આ ટ્રેલરના ઉપરના ભાગમાં માટી ભરેલી હતી, પરંતુ ચેસિસના નીચેના ભાગે ખાસ ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે ટ્રેલરને રોકાવી તેના ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. ટ્રેલરના નીચેના ભાગે તપાસ કરતાં, ચોર ખાનામાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ 562 દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹8,48,918/- છે. પોલીસે દારૂ ઉપરાંત ₹10,00,000/-ની કિંમતનું ટ્રેલર, ₹5,000/-નો મોબાઈલ, ₹3,170/- રોકડા અને ₹1,455/-ની માટી પણ જપ્ત કરી હતી. આમ, કુલ ₹18,58,543/-નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં ગંગારામ હીરારામ કાસબારામ પવાર (રહે. રણોદર, તા. ચિતલવાના, જિ. જાલોર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ટ્રેલર માલિક રાજુરામ કરણારામ પવાર (રહે. ગોદારો કી ઢાણી, ગાંધવ, તા. ગુડામાલાની, જિ. બાડમેર), માલ ભરાવનાર એક અજાણ્યો પીક અપ ડાલા ચાલક અને મોરબીના એક અજાણ્યા માલ મંગાવનાર ઇસમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડબ્રહ્માના યાત્રાધામમાં આવેલા અંબિકા માતાજી (નાના અંબાજી)નું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં વર્ષ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને ચૈત્ર તથા આસો માસની નવરાત્રી ઉત્સાહભેર ઉજવાય છે. મોટા અંબાજી તરફ જતા સંઘો અને પગપાળા યાત્રિકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરીને આગળ વધે છે, તેમજ રજાઓ અને શનિ-રવિવારે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વિકાસ કાર્યો સતત ચાલી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી માનસરોવરના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, જે મંદિરના મુખ્ય આકર્ષણોમાંનું એક બનશે. આ અંગે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, દાતાઓના સહયોગથી આશરે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે લાલ પથ્થરમાં માનસરોવર બનાવવામાં આવી રહ્યું છે. આ કાર્ય આગામી એક વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. માનસરોવર તૈયાર થયા બાદ અહીં બાબરીની બાધાની વિધિ કરી શકાશે. આ ઉપરાંત, રાત્રી દરમિયાન માનસરોવરમાં ફુવારા સાથે લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે, જે યાત્રાળુઓ માટે નવું આકર્ષણ બનશે. પ્રવેશદ્વાર પર એક સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવશે. પ્રમુખ રાઠોડે ઉમેર્યું કે, આગામી સમયમાં હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે સેવા શરૂ થવાથી પ્રવાસીઓ અને યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, જેના માટે મંદિર ટ્રસ્ટ વિકાસ કાર્યો દ્વારા સુવિધાઓ વધારી રહ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરનારાઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિગરેટ, બીડી પીવા ઉપર અને તમાકુ કે ગુટખા ખાઈને જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે કરાયેલા ઠરાવને લાગુ કરી દેવાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ માટેના બેનરો જિલ્લા પંચાયત કચેરી ખાતેના તમામ ફ્લોર ઉપર લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આ નિયમનો કડક અમલ થાય છે કે નહીં તે જોવું રહ્યું. જિલ્લા પંચાયત કચેરીમાં લાગેલા બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ કચેરીના પરીસરમાં કોઈપણ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મુલાકાતીઓએ બીડી, સિગારેટ સીગાર, ગુટખા, પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરવું નહીં. જો કોઈ વ્યક્તિ પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરતા, પીચકારી મારતા કે પોતાની સાથે રાખતા માલુમ પડશે/પકડાશે તો જિલ્લા પંચાયતના તા. 13-10-2025ની ખાસ સામાન્ય સભાના ઠરાવ મુજબ રૂા.500/- (રૂપિયા પાંચસો) દંડને પાત્ર રહેશે. તેમજ જો તે વારંવાર પકડાશે તો ઠરાવના નિયમ મુજબની કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ અંગે પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતની એકાદ માસ પહેલા ઘેલા સોમનાથ ખાતે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં તમાકુ ગુટખા જેવા વ્યસનોથી લોકો દૂર થાય તેનાં માટે ઠરાવ કરીને પંચાયત કચેરીમાં આવી વસ્તુઓ ખાવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જેમાં દંડાત્મક કાર્યવાહી કરવા પણ સૂચન થયા હતા અને તે હવે લાગુ કરવામાં આવ્યા છે. લોકો જો પાન, તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરશે તો તેમને દંડ કરવામાં આવશે. વારંવાર આવું કરતા પકડાશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઘેલા સોમનાથ ખાતે મળેલી સામાન્ય સભાનાં ઠરાવ મુજબ જિલ્લા પંચાયત કચેરીમાં તમાકુનાં ઉત્પાદનો સાથે રાખનાર તેમજ તેનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાના બેનરો લગાવવામાં આવ્યા છે. જો કે માત્ર બેનરો લગાવવાથી આ નિયમનો અમલ થઈ શકે તેમ નથી. હાલ મોટાભાગના કર્મચારીઓ પણ કોઈ વ્યસન ધરાવતા હોય છે, ત્યારે આવા તમામ કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.
સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઇલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 2,32,000ની કિંમતના 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ અને એક ટેમ્પો સહિત કુલ 2,92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ચોરીમાં કુરિયર કંપનીના જ ત્રણ ડિલિવરી બોય સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. કુરિયર સર્વિસના માણસો જ બન્યા ચોરઅઠવાલાઇન્સ પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન ચોરીની પદ્ધતિ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ફરિયાદ પ્રમાણે, ફરિયાદી રાજેશ બ્રીજ બિહારી અગ્રવાલ, જેઓ નાનપુરા ખાતે કરંટ સિસ્ટમ્સના નામે મોબાઇલ હેન્ડસેટના વેચાણનો ધંધો કરે છે, તેમણે 17 એપ્રિલ, 2025થી 31 મે, 2025 દરમિયાન કુલ 109 મોબાઇલ ફોન અને ટેબ્લેટના અલગ-અલગ પાર્સલ એમેઝોન કુરિયર મારફતે એમેઝોન સેન્ટર ખાતે મોકલ્યા હતા. જોકે, તેમાંથી માત્ર 95 મોબાઇલ ફોન જ સેન્ટર સુધી પહોંચ્યા હતા અને 14 મોબાઇલ ફોન-ટેબ્લેટની ચોરી થઈ હતી. માસ્ટરમાઇન્ડ ખાનગી નોકરી કરે છેપોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીનો માસ્ટરમાઇન્ડ મુખ્ય આરોપી મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ (ઉં.વ. 49) હતો, જે પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તેણે એમેઝોન કુરિયર સર્વિસમાં કામ કરતા અન્ય ડિલિવરી બોયને પોતાની સાથે સામેલ કર્યા હતા. પાર્સલોને ખોલી મોબાઇલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતાઆરોપીઓએ ચોરીને અંજામ આપવા માટે તેમની કુરિયર સર્વિસની નોકરીનો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીઓ એવા પાર્સલોને નિશાન બનાવતા હતા, જેની અંદર મોંઘાદાટ મોબાઇલ ફોન કે ટેબ્લેટ હોવાની શક્યતા હોય. કુરિયર ડિલિવરી ચેઇનમાં હોવાથી, તેમને કિંમતી વસ્તુઓવાળા પાર્સલોની જાણકારી રહેતી હતી.જ્યારે કુરિયરનો માલ એક લોકેશનથી બીજા લોકેશન પર ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો હોય જેમ કે ફરિયાદીના સ્થળેથી એમેઝોન સેન્ટર સુધી, ત્યારે આરોપીઓ પાર્સલની હેન્ડલિંગ અને વહન દરમિયાન, ખાસ કરીને વેરહાઉસ કે વાહનોમાં, પાર્સલોને ખૂબ કાળજીપૂર્વક ખોલીને અંદરથી મોબાઇલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતા હતા.ફોન કાઢ્યા બાદ, તેઓ ખાલી પાર્સલને ફરીથી એવી રીતે પેક કરી દેતા હતા, જેથી પ્રથમ દૃષ્ટિએ કોઈને ખ્યાલ ન આવે કે તેમાં ચોરી થઈ છે અથવા તો પાર્સલને જાણીજોઈને ગાયબ કરી દેતા હતા. પોલીસે આરોપીને ચોરીના માલ સાથે પકડ્યોચોરી કર્યા બાદ, આરોપીઓ આ મોંઘાદાટ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તા ભાવે બજારમાં વેચીને આર્થિક લાભ મેળવવાનો ઇરાદો રાખતા હતા.પોલીસને અંગત બાતમી મળી હતી કે મોંહમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ નાનપુરા જલારામ દાણાચણા દુકાન પાસે ચોરીના મોબાઇલ ફોન સાથે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મોંહમદ અલ્તાફ શેખને ઝડપી પાડ્યો. તેની પાસેથી પાંચ મોબાઈલ ફોન જેની કિંમત 1,01,000 અને એક ટાટા કંપનીનો છોટા હાથી ટેમ્પો 60,000 મળી આવ્યા હતા. અન્ય આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલની જપ્તીમોંહમદ અલ્તાફની સઘન પૂછપરછમાં તેણે પોતાના સાથીદારો ભૌતિક કાશીનાથ મિસ્ત્રી (ઉં.વ. 20), આયુષ રણજીતભાઇ પટેલ (ઉં.વ. 20), અને સલમાન સુલેમાન શેખ (ઉં.વ. 23)ના નામ ખોલ્યા હતા. પોલીસે તાત્કાલિક અસરથી અન્ય 3 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા અને ચોરીનો બાકીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભૌતિક મિસ્ત્રી પાસેથી 80,000નો મુદ્દામાલ, આયુષ પટેલ પાસેથી 15,000નો મુદ્દામાલ, સલમાન શેખ પાસેથી 36,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગુનામાં પોલીસે કુલ 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ અને એક ટેમ્પો મળીને 2,92,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ટેકાના ભાવે ધાન ખરીદવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસે આ જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે, પૂછ્યું છે કે ખેતરોમાં પાક જ બચ્યો નથી તો સરકાર શું ખરીદશે? નવરાત્રી દરમિયાન અને તે પછી પડેલા કમોસમી વરસાદથી વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો તૈયાર પાક જ્યારે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં AICC સભ્ય ગૌરવ પંડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકારની1500 કરોડના પેકેજની જાહેરાત પર પ્રશ્નાર્થ મૂક્યો હતો. પંડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને સીધો સવાલ કર્યો કે, જ્યારે ખેડૂતોના ખેતરમાં પાક જ બચ્યો નથી અને તમામ પાક ધોવાઈ ગયો છે, ત્યારે સરકાર 1500 કરોડ રૂપિયામાં કયા ખેડૂત પાસેથી શું ખરીદશે? તેમણે આ પેકેજની અસરકારકતા પર શંકા વ્યક્ત કરી હતી. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાત-દિવસ રડવાનો વારો આવ્યો છે. આવા સમયે ૧૫૦૦ કરોડના ટેકાના ભાવે ધાન ખરીદી માટેના પેકેજની જાહેરાત પર અનેક સવાલો ઉભા થયા છે.
રાજકોટ શહેરમાં અકસ્માતોની હારમાળા યથાવત્ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતે ચાર લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે. ગઈકાલે (9 નવેમ્બર) કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે BMW કારના ચાલકે ટુ-વ્હીલર ચાલક અભિષેક નાથાણીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પૂરપાટ ઝડપે હોન્ડા સીટી કારની અડફેટે માતા-પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું. તો અન્ય બે બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે. BMWની ટક્કરે યુવકનું મોત, ટુ-વ્હીલરનો બુકડો રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનામાં ગઈકાલે મોડીરાતના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે જીજે.03.એનબી.7301 નંબરની કાળા કલરની BMW કારના ચાલકે ટુ-વ્હીલર ચાલક અભિષેકને અડફેટે લીધો હતો. કારની જોરદાર ટક્કરથી અભિષેકને રસ્તા પર ફંગોળાતા ગંભીર ઈજા થતાં સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં BMW કારનો આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. તો ટુ-વ્હીલરના પણ પુરજે પુરજા નોખા થઈ ગયાં હતાં. બનાવની જાણ થતા 108ને થતાં સ્ટાફે આવી યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કારચાલક સામે તપાસ શરૂ કરીપોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મૃતક ટુ-વ્હીલર ચાલક યુવકનું નામ અભિષેક નાથાણી હોવાનું સામે આવ્યું હતું. આ પછી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં બે યુવાન, એક તરુણ અને એક તરુણીનું મોત નીપજ્યું હતું. 7 નવેમ્બરઃ હોન્ડા સિટી કારે માતા-પુત્રીને અડફેટે લીધા હતાં, દીકરીનું સારવારમાં મોત રાજકોટ શહેરના જગદીશ મંડપ સર્વિસના સંચાલક દેવાંગભાઈના પત્ની દર્શનાબેન કોટેચા (ઉં.વ.45) 7 નવેમ્બરના બપોરે 2 વાગ્યા આસપાસ એક્ટિવા લઇ પોતાની 15 વર્ષની દીકરી ધ્રુવીને સ્કૂલેથી તેડી આમ્રપાલી મેઇન રોડ ઉપર જવા નીકળ્યા હતાં. આ દરમિયાન યુનિવર્સિટી રોડ પર એચ.પી પેટ્રોલ પંપની સામે સિગ્નલ પહેલાં શાંતી હોસ્પિટલ પાસે સિગ્નલ હોવાથી વાહન ધીમું ચલાવીને જતા હતા. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારચાલક મહિલાએ માતા-પુત્રીને અડફેટે લીધા હતાં, જેમા માતા દર્શનાબેનને બંને હાથ અને પાંસળી તેમજ શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે દીકરી ધ્રુવીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ધ્રુવી કોટેચાનું ગંભીર ઈજાઓને કારણે ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજતા યુનિવર્સિટી પોલીસે કાર ચલાવતી મહિલા કૃતિકા શેઠની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. (રાજકોટમાં બેફામ દોડતી હોન્ડા સિટી કારે તરુણીને કચડી, CCTV) 6 નવેમ્બરઃ સામસામે બાઈક અથડાતા સગીરનું મોત આણંદપર ગામે રહેતો કેવલ નારણભાઈ મેવાળા (ઉં.વ.15) 6 નવેમ્બરનાં રોજ બપોરનાં સમયે બાઇક લઈને મિત્ર સાથે કુવાડવા રોડ પર ડી-માર્ટની સામે રોડ પરથી પસાર થતો હતો. ત્યારે સામે આવી રહેલા બાઇક સાથે અકસ્માત થતા બંને બાઇકચાલક નીચે પટકાયા હતાં. કેવલને ગંભીર ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કેવલ પોતાના સ્કુલ મિત્ર સાથે કુવાડવા રોડ પર યુનીફોર્મ લેવા માટે જઇ રહ્યો હતો, આ દરમિયાન અજાણ્યા એક્ટિવાનાં ચાલકે અકસ્માત સર્જયો હતો. મૃતક કેવલ બે ભાઈમા નાનો હતો અને તેમનાં પિતા ચાની હોટલ ધરાવે છે. કેવલનાં આકસ્મિક મોતથી પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો છે. (15 વર્ષનો તરૂણ બાઇક લઇ મિત્ર સાથે યુનિફોર્મ લેવા જતો હતો ત્યારે બે બાઇક સામ-સામે અથડાતા વિદ્યાર્થીનું મોત) 6 નવેમ્બરઃ બંધ ફોર-વ્હીલર પાછળ બાઈક અથડાતા યુવકનું મોત રાજન સુરેશભાઈ મકવાણા (ઉં.વ.19) 6 નવેમ્બરના રાત્રે 1 વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો, ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ ફોર-વ્હીલર પાછળ બાઈક અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા આસપાસ તેણે રાજને દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજન બે ભાઈમાં મોટો હતો અને તે વિજય પ્લોટમાં જ પોતાના ઘર નજીક આવેલ એક કારખાનામાં નોકરી કરતો હતો. રાત્રે પોતાના મિત્ર સાથે બાઈક ઉપર આંટો મારવા નીકળ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. (હેમુ ગઢવી હોલ પાસે બાઈક સ્લીપ થતા બંધ ગાડી સાથે અથડાયું)
પોરબંદરમાં 400 મહિલા માટે 'લાલો' ફિલ્મનો શો:ડો. ચેતનાબેન તિવારીએ સખી ક્લબ માટે ટોકન દરે આયોજન કર્યું
પોરબંદરમાં જિલ્લા ભાજપ અને સખી ક્લબના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ 400 મહિલાઓ માટે ગુજરાતી ફિલ્મ 'લાલો'નો વિશેષ શો યોજ્યો હતો. સખી ક્લબની બહેનોએ આ ફિલ્મ ટોકન દરે નિહાળી હતી. હાલમાં ગુજરાતી ફિલ્મ 'લાલો' દર્શકોમાં, ખાસ કરીને મહિલાઓમાં, ભારે લોકપ્રિય બની છે. આ ફિલ્મને જોવા માટે સિનેમાઘરોમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી રહ્યા છે. ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ પર આધારિત 'લાલો' ફિલ્મ ભક્તિનું પ્રતીક છે અને તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ ખાસ શોમાં સખી ક્લબ ઉપરાંત સત્સંગ મંડળની બહેનો પણ જોડાઈ હતી. આ શોમાં કેટલીક એવી મહિલાઓ પણ હાજર હતી જેમણે જીવનમાં પ્રથમ વખત સિનેમાઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમના માટે આ એક અનોખો અને યાદગાર અનુભવ રહ્યો હતો.
અમદાવા -બોટાદ જિલ્લામાં માવઠાંને પગલે સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે. તો ભાલ પંથકમાં ઘઉં, ચણાંના ખેતરોમાં પાણી ભરાતાં પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જેના પગલે ઉત્પાદન ઉપર પણ માઠી અસર પડશે. સરકારે પિયત, બિનપીયત અને બાગાયતી પાકની નુકસાનીને લઇ 22 હજાર પ્રતિહેક્ટર સહાય જાહેર કરી છે. જે મોટા ખેડૂતો માટે નુકસાનરૂપ અને ખરેખર થયેલા ખર્ચ કરતાં અડધી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખેડૂતોની મશ્કરી સમાન રાહત પેકેજમાવઠાંને લઇ ખેતરમાં પાણી ભરાતાં ડાંગરનો પાક 100 ટકા નીષ્ફળ ગયો છે. રવિ સિઝન પણ લઇ શકાશે નહીં. સરકારે હેક્ટર દીઠ 22 હજારની સહાય જાહેર કરી છે. તે 50 ટકાથી પણ ઓછી છે. નુકસાનીની ભરપાઇ ન થઇ શકે એટલી સહાય ખરેખર મશ્કરી સમાન છે.> કેશરભાઈ ચોહાણ, બલદાણા 2 હેક્ટર દીઠ સહાયથી મોટા ખેડૂતને નુકસાની દિવાળીમાં પડેલા માવઠાંના પગલે ખેડૂતોને 100 ટકા નુકશાની થઈ છે. ખેડૂતોને હેકટર દીઠ આશરે રૂ.50 હજારથી વધારે ખર્ચ થયો છે. સરકારે 2 હેક્ટરથી મર્યાદામાં સહાય જાહેર કરી છે. જેથી મોટાં ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાની થશે. સરકારે ઓછા 4 હેકટરની મર્યાદામાં અને હેકટર દીઠ 50 હજાર જાહેર કરવા જોઇએ. > બહાદુરસિહ ઝાલા, બલદાણા સરકારે ખેડૂતોને અન્યાય કર્યો છે ખેડૂત રાહત પેકેજ અપૂરતું જ છે.રાજ્યના કેટલાક તાલુકા કે ગામના ખેડૂતોનો સમાવેશ નથી થયો. સરકારે અન્યાય કર્યો છે. ખેડૂતોની જે એકતા હતી એને તોડવાનો પ્રયાસ કર્યો છે. ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી છે. > ખુમાનસિહ રાઠોડ, ફેદરા આ તો..કોથળામાંથી બિલાડું નીકળ્યું સરકારે આં તો હજુ સહાયની જાહેરાત કરી છે. હજુ ખેડૂતો લાઇનમાં ઉભા રહેશે, નેટવર્ક જામ થશે. અરજીઓ બાદ નુકસાની થયેલો પાક ખેતરમાંથી બહાર લાવવો પડશે. અરજીઓ વિસ્તરણ અધિકારીઓ ચેક કરી દરખાસ્ત બનાવશે. સન્માન નિધિ ભેગી સહાય પણ આપી દેવી જોઇએ. > મનહરસિહ રાણા, ફેદરા ખર્ચ, ઉત્પાદનને ધ્યાને રાખી સહાય નક્કી કરવી જોઇએ ભાલમાં વર્ષમાં એક જ વખત ઉત્પાદન લેવાય છે. ઘઉં, ચણાંનું બાળમરણ થયું છે. સરકાર કૃષિ વિજ્ઞાનીકો અને ભૌગોલિક વિસ્તારથી પરિચીતો પાસેથી સાચી જાણકારીના રિપોર્ટ મંગાવો. જેથી ખ્યાલ આવે. > ભરતસિંહ જાદવ, હડાળા
LCBએ દારૂ ઝડપ્યો:તુરખા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 3 સામે ગુનો
બોટાદ જિલ્લાના તુરખા ગામે બોટાદ એલસીબી (Local Crime Branch) પોલીસે વહેલી સવારે દારૂના મોટા જથ્થા પર રેડ કરીને પ્રોહિબિશનના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે તુરખા ગામથી દેવધરી જવાના રસ્તે આવેલી પ્રજાપતિની વાડીમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. એલસીબી શાખાના પોલીસ કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા અને સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન 8 નવેમ્બરની વહેલી સવારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે તુરખાથી દેવધરી તરફના રસ્તે સરકારી દવાખાનાની બાજુમાં ખારવાના રસ્તે આવેલી અશ્વિનભાઈ દાસભાઈ પ્રજાપતિની વાડીમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન વાડીની પતરાવાળી ઓરડીમાંથી પૂંઠાના બોક્સમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 2155 સીલપેક બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત રૂપિયા 8,41,880 આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 750 MLની કાચની 141 બોટલ (કિંમત રૂ. 1,97,400) અને 180 MLની પ્લાસ્ટિકની 2014 બોટલ (કિંમત રૂ. 6,44,480) નો સમાવેશ થાય છે. રેડ દરમિયાન સ્થળ પર કોઈ હાજર મળ્યું ન હતું. જોકે, પોલીસે દારૂનો જથ્થો ઉતારનાર અને ગુનામાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 65 (એ)(ઇ), 116(બી), 818 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓમાં ભગીરથભાઈ ફુલભાઈ ધાધલ, છત્રપાલભાઈ ઉર્ફે સત્તુ સુરેશભાઈ બસીયા (રહે. તુરખા) અને દારૂ ઉતારવા માટે વાડી ભાડે આપનાર અથવા વાડીનો ઇજારો ધરાવનાર ત્રીજા વ્યક્તિનો સમાવેશ થાય છે. એલસીબી પોલીસે હાલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:હાલારના ખેડૂતો કહે છેકે,યોગ્ય વળતર આપો-દેવુ માફ કરો
કમોસમી વરસાદે રાજયમાં ચોમાસુ પાકને વ્યાપક નુકશાન પહોચાડયુ છે.ત્યારે રાજય સરકાર દ્વારા સર્વે બાદ અત્યાર સુધીનુ સૌથી મોટુ રાહત પેકેજ જાહેર કર્યુ છે.જે પાક વળતર સહાય અંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના મંતવ્યો તેમના જ શબ્દોમાં રજુ કરાયા છે. આમાં બિયારણ પણ ન આવે મારે 10 વિઘા જમીન છે. ખેડૂતોની મજાક કરી છે, આટલા રુપીયામાં બીયારણ પણ ન આવે. પશુઓનો ચારો પણ બગડી ગયો છે ખેડૂતની સ્થિતિ હાલ દયનીય છે. આ વર્ષે આવતા વર્ષનું બિયારણ 80 ટકા નથી થયું. વેપારી પેઢીઓ ખેડુત પાસેથી સસ્તાભાવે લેશે અને 3 ગણા ભાવે બીયારણ વેંચશે. ટેકાનાં ભાવે ખરીદીમાં વચેટીયાઓ લાભ ન લઇ જાય અને ડાયરેક્ટ લાભ ખેડૂતોને જ મળે તેવું થવું જોઇએ. > ખેડૂત દિનેશભાઇ પટેલ લતિપુર. ખેડૂતોના લેણા માફ કરવા જોઇએ સહાય યોગ્ય નથી,વિધે નુકશાન અંદાજે 8 થી 9 હજારનું છે. જે ખેડૂતને આગોતરી મગફળી હતી લગભગ 20 ટકા એને ફાયદો છે.બાકી 80 ટકાને ભારે નુકશાન છે. સરકારે ખેડૂતોનાં લેણા માફ કરવા જોઇએ. આ તો આકસ્મિક આફત છે તેમાં સરકારનો દોષ ન કહી શકાય. ટેકાના ભાવે ખરીદી કરવા કરતા ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ સહાય ચુકવવાની જરુર હતી. > ખેડૂત કિશોરભાઈ ગડારા,વાંકિયા ( ધ્રોલ ) મોટી રાહત ન મળી, આર્થિક ફટકો ખેડૂતોને આર્થિક સંકડામણ એટલી હદે વધી રહી છેકે કે, એક બાજુ પલળી ગયેલી મગફળી અને કપાસ હાલ કોઈ વેપારી લેવા તૈયાર નથી અને શીયાળુ વાવેતરનો પણ સમય આવી ગયો છે એટલે હાલ ખેડૂત મોટી કટોકટીભરી આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને ખેડૂતો ને એવું હતું કે સરકાર મોટી રાહત આપશે પણ એક વિઘાના 3520 લેખે સહાય મળશે જ્યારે 15000 હજાર તો ખર્ચ થાય છે. > -ખેડૂત ભીમાભાઇ જેઠાભાઇ ગોહિલ, ચોખંડા(દેવભૂમિ દ્વારકા જિલ્લો) સહાયમાં કંઇ ન થાય યોગ્ય વળતર આપો મારે આઠ વિધા જમીન છે.આ સહાયમાં કંઇ ન થાય. દેવું માફ કરો અને યોગ્ય વળતર આપો.પશુધનના ચારાનો પણ સાવ નાશ થયો છે. માલધારીઓ માટે પણ કંઇ સહાય કરવી જોઇએ.માવઠાના કારણે ખેડૂતની સાવ દશા બગડી ગઇ. > ખેડૂત મનસુખભાઇ હરજીભાઇ કણસાગરા, સઇ દેવળીયા કુદરતે માર્યા, સહાયે મજાક બનાવી મારે 25 વિધા જમીન છે. આટલી ઓછી સહાય ખેડૂતો ના દુઃખતા પર ઘા દેવા જેવી વાત છે જે બી બિયારણ માટે લેવા જઇએ તો 2500થી વધારે પડે અને વેચતી વખતે સરકારી નીતિના કારણે ભાવો માવઠાથી બગડેલા, પાક ના 600 પણ આપવા રાજી નથી. ખેતરે મજૂરી કરવા આવે તેઓ પણ 1000 થી વધારે માત્ર 7 કલાક કામ કરવાનાં લે છે. એ સિવાયની પણ બધી વસ્તુઓ નો હિસાબ કરીયે તો અમારી મજૂરી પણ ઉભી નથી થતી. માવઠા માં ફસાયા બાદ અમારો કોઈ આધાર રહ્યો નથી.કુદરતે માર્યા અને સરકાર મજાક બનાવી રહી અમારી. > ખેડૂત નાથુભાઇ ગોરધનભાઇ ડાભી, કેનેડી(કલ્યાણપુર)
હુમલો:બાલભંડીમાં વૃદ્ધ પર પાડોશીએ કર્યો હુમલો
કાલાવડ તાલુકાના બાલભંડી ગામમાં વાડીના શેઢા બાબતે બોલાચાલી કરીને વૃધ્ધા પર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.બાલભંડી ગામમાં રહેતા વિજયાબેન નાગજીભાઈ સુતરીયા (ઉ.વ.60) નામના વૃધ્ધા ગત તા.8ના વાડીના શેઢે ખડ નાખવા માટે ગયા હતા. ત્યાં આરોપી ધીરૂભાઈ આંબાભાઈ સુતરીયા હાજર હોય, અને તેને વૃધ્ધાને કહેલ કે, આ શેઢો તમારો નથી અહિ ખડ નાખતા નહી તેમ કહી વૃધ્ધાને અપશબ્દો બોલવા લાગ્યા હતા. વૃધ્ધાએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપી ધીરુ સુતરીયાએ પાવડા વડે હુમલો કરીને વૃધ્ધાને વાસના ભાગે તેમજ સાથળના ભાગે મારીને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને હવે પછી અહિયા આવીશ તો મારી નાખીશ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની વૃધ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિકોમાં આનંદની લાગણી:ખંભાળીયા નજીકનીસો સાયટીઓનો વર્ષો જૂનો ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હલ કરતું પાલિકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વડા મથક તરીકેની ખંભાળીયા નગરપાલિકા તાજેતરમાં સી ગ્રેડની પાલિકામાંથી એ ગ્રેડની નગરપાલિકા બની,અને નજીકના વિસ્તારો શક્તિનગર, રામનગર, હર્ષદપુર, ધરમપુર વિ. વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારો ખંભાળીયા શહેરમાં ભળ્યા છે. હવે સત્તાવાર વિસ્તાર વોર્ડ તો બને ત્યારે પણ ખંભાળીયા પાલિકાના સફાઈ વિભાગ દ્વારા આ વિસ્તારની સોસાયટીઓનો વર્ષો જૂનો ભૂગર્ભ ગટર બંધ થઈ જવાથી ગંદકીનો સળગતો પ્રશ્ન હલ કરવાનું શરૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાલિકા સેનિટેશન ઇન્સ્પેક્ટર સંજયભાઈ કરમુર તથા મુખ્ય અધિકારી રાજપારભાઈ ગઢવી દ્વારા રોજ દશ - પંદર ભૂગર્ભ ગટરની ટાંકીઓ અદ્યતન સગવડ વાળા વેક્યુમ ક્લીનરથી સાફ કરવાની શરૂ કરીને વર્ષોથી કચરા ગંદકીથી જામ થઈ ગયેલ ભૂગર્ભ ગટરની ટાંકીઓ ચોખ્ખી કરવી શરૂ કરી છે. ગંદકી તથા ગટરો જામ થવાની વર્ષો જૂનો પ્રશ્ન ખંભાળીયા પાલિકામાં ભળતાની સાથે જ હલ થતા લોકોમાં ખૂબ આનંદની લાગણી ફેલાઇ છે. પાલિકા તંત્ર દ્વારા એક પછી એક સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની ટાંકીઓ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે તમામ સોસાયટીઓમાં કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખંભાળીયા નગરપાલિકામાં નવા ભળેલા ગામોની સોસાયટીઓમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે વર્ષોથી લોકો ગંદકી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હાલ ભુગર્ભ ગટરની કામગીરી થતાં લોકોમાં હર્ષ વ્યાપ્યો છે. તો નગરપાલિકાએ નવા ભળેલા ગામોમાં વિકાસ કામો પણ શરુ કરવામાં આવ્યા છે. જેથી આગામી દિવસોમાં નવા ભળેલા ગામોની સોસાયટીઓની કાયાપલટ કરવામાં આવશે.
ચોર પોલીસના સંકજામાં:કાલાવડના વિભાણીયામાં મંદિરની દાનપેટીમાંથી ચોરીમાં શખસ ઝડપાયો
કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં મંદીરની દાનપેટીમાંથી થયેલી રોકડ રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે અને એક શખસની ધરપકડ કરીને રૂ.80 હજારનો મુદામાલ કબજે કર્યો છે. વિભાણીયા ગામે નાગબાઈ માતાજીના મંદીરમાંથી ગત તા.4ના રોજ કોઈ અજાણ્યા શખસોએ મંદીરમાં પ્રવેશ કરીને દાનપેટી તોડીને આશરે રોકડ રૂ.30 હજારની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ ચોરીમાં સંડોવાયેલો શખસ મોટાવડાળા ગામના પાટીયાથી મોટા વડાળા ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પાટીયા પાસૈ રોડ ઉપરથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ ગોઠવી હતી અને મંદીરમાંથી ચોરી કરનાર શખસ મિલન ભરતભાઈ ગોંડલીયાને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી રોકડ રૂ.18,550 તેમજ બે કપડાની જોડી, એક બુટ (શુઝ)ની જોડી, એક્ટીવા બાઈક રુ.50 હજારની તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રુ.79,550નો મુદામાલ કબજે કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
SOGની ટીમ દ્વારા કાર્યવાહી:કલ્યાણપુરના ભાટીયામાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતા 2 શખસોને ઝડપી લીધા
દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી ગેરકાયદે ઘર વપરાશના એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા બે શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લીધા હતા. તેના કબજામાંથી પોલીસે વિવિધ 18 ગેસ સિલિન્ડર સહિત મુદ્દામાલ કબજે કરીને બંને શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભાટીયા ગામે પાંચ હાટડી ચોકમાં રહેતા અને કિરમાણી સ્ટવ રીપેરીંગ નામની દુકાને ધરાવતા હાજી વલીમામદભાઈ ચાકી નામના શખસ દુકાનની પાછળના ભાગે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાંથી અન્ય ખાલી બાટલામાં ગેરકાયદે રિફિલિંગ કામ કરતા હોવાની એસઓજીને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજી પીઆઈ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. હાજી વલીમામદ ચાકી દ્વારા ગેસ ટ્રાન્સફર તથા રિફિલિંગ કરવા માટે કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો વગર ગેરકાયદેસર રીતે એક સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હતો. આ પ્રકરણમાં પોલીસે નાના-મોટા છ ગેસ સિલિન્ડર સહિત કુલ રૂ. 16,200 નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અન્ય બાતમીના આધારે એ જ વિસ્તારમાં રહેતા ઈરફાન ઓસમાણ ઈબ્રાહીમ ચાકી નામના 35 વર્ષના શખ્સ દ્વારા તેની ગેસના ચૂલા રીપેરીંગની કામગીરી દરમિયાન પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે રીતે સબસીડી વાળા ગેસના ભરેલા બાટલાઓનો સંગ્રહ કરી અને ગેરકાયદેસર રીતે નાના કોમર્શિયલ બાટલાઓમાં રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી એસઓજીની ટીમે ત્યાં પણ દરોડો પાડીને ઇરફાનને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી વિવિધ પ્રકારના 12 નાના મોટા ગેસ સિલિન્ડર સહિત કુલ રૂ. 19,200 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે બન્ને શખસોની ધરપકડ કરીને તેની સામે બીએનએસ તથા એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોગસ ડોકટરો બાદ એસઓજીના દરોડા દ્વારકા જિલ્લામાં એસઓજીએ બોગસ ડોકટોરો પરની ઝુંબેશ હાથ ધરીને ડીગ્રી વગરના ડોક્ટરોને પકડી રહી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં તેમજ શ્રમિક વિસ્તારોમાં ગેરકાયદે ગેસરીફીલીંગ ધમધમી રહ્યા હોવાની બાતમીના આધારે એસઓજીએ ઝુંબેશ હાથ ધરી હોય તેમ એક જ દિવસમાં બે દરોડા પાડીને બે શખસોને ઝડપી લીધા છે.
જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં આવેલ શ્રી અવેડિયા મામાના મંદિરે શ્રી અવેડિયા મામા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બરને શનિવારે સાંજે 4.30 થી 10 વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું અને રાત્રે મહાઆરતી યોજાઇ હતી. અન્નકુટ ઉત્સવ અને મહાઆરતીનો શહેરીજનોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
સ્નેહમિલન:જામનગરમાં પુરવઠા નિગમ નિવૃત કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું
જામનગરમાં પુરવઠા નિગમ નિવૃત કર્મચારી સેવા મંડળ દ્વારા વાર્ષિક અધિવેશન તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિવૃત કર્મચારીઓના હિત માટે કોર્ટમાં કેસ ચાલતા હોય તેમ જ આવનારા ઇપીએફઓ દ્વારા આપવામાં આવતું હાયર પેન્શન મળવા અંગે કોર્ટમાં કેસ એડમિટ કરવાનો હોય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જામનગરના ત્રિમંદિર ખાતે તાજેતરમાં જ જામનગર પુરવઠા નિગમ નિવૃત કર્મચારી સેવા મંડળ દ્વારા વાર્ષિક અધિવેશન તથા સ્નેહ મિલન યોજાયું હતું જેમાં નિવૃત્ત કર્મચારીઓના હિત માટે કોર્ટ કેસ ચાલતા હોય અથવા કોર્ટ કેસ કરવા જઈ રહ્યા હોય તેમ જ અન્ય બાબતોની ચર્ચા અને જાણકારી આપવામાં આવી હતી આ સાથે જ નિવૃત્ત કર્મચારી મંડળના હાયર પેન્શન મળવા અંગે કોર્ટમાં કેસ એડમિટ કરવાનો હોય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત બરોડા ભરૂચ ગાંધીનગર અમદાવાદ જુનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ સહિતના શહેરોમાંથી 100 વધુ પ્રતિનિધિઓ જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર જિલ્લાના જે.એસ ખાણધર, બી એ દવે, જી જે ઝાલા, પીએચ ઠાકર સહિતના તમામ કર્મચારીઓએ જહમત ઉઠાવી હતી.
મંડે પોઝિટીવ:વનસ્થલી પ્રોજેકટમાં 2000થીવધુ વૃક્ષ વાવી હરિયાળી કરાશે
જામવણથલી અને આસપાસના ગામના વતનપ્રેમીઓ દ્વારા સમગ્ર વિસ્તાર વૃક્ષો થકી હરીયાળી બની રહે તે માટેના વનસ્થલી પ્રોજેકટના પોસ્ટનું લોન્ચિંગ જેમાં 2 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તે તાજેતરમાં લેઉઆ પટેલ સમાજ વાડી જામનગરમાં મહાનુભાવો, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, દિવ્યૈશભાઇ અકબરી તેમજ આર.સી. ફળદુ, ચંદ્રેશભાઇ પટેલ, મનસુખભાઇ રાબડીયા અને શ્રેષ્ઠીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિમબોલિક ચેક મુખ્ય દાતા સ્વ. જેઠાલાલ કપૂરચંદ મહેતા પરીવાર રૂા. 15 લાખ અને સ્વ. સાકરચંદ પાનાચંદ મહેતા પરિવાર તરફથી રૂા. 10 લાખના સદ્દભાવના ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યા. માત્ર 1500ના દાન થકી કોઇપણ વ્યકિત એક વૃક્ષ નોંધાવી શકે છે અને બીજા 1500 સદ્દભાવના ટ્રસ્ટ પોતે કોઇ પાસે અનુદાન મેળવીને વૃક્ષ ઉજરી જાય તેમજ દાતાની વૃક્ષ પર નેમ પ્લેટ અને સમયાંતરે સોશિયલ મીડીયાથી મેસેજથી વૃક્ષાના ફોટા મળ્યા કરે તેવું આયોજન કરાયું છે તેમજ એક ખાસ સાેશિયલ મીડીયાની લીક તૈયાર કરાઇ છે જેથી ડાયરેકટ સદ્દભાવના ટ્રસ્ટને દાન મોકલી શકાય છે. કાર્યક્રમમાં તમામને પ્રોજેકટની વિગતો એન.ડી.સી. સંસ્થાના જયેશભાઇ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી અને કોઇપણ વ્યકિતને જોડાવવું હોય તો મેસેજ માત્ર ટ્રી એવું લખીને મો. 90335 57799 પર કરવાથી તેઓને જવાબરૂપે લીંક મળી જશે. અમેરીકાથી કિરણભાઇ, સંદીપભાઇ, ચેતનભાઇ મહેતાએ વાવેલું વિચારબીજ ઉગી નીકળ્યું. સેવાકાર્યમાં વિજયભાઇ ડોબરીયા, મિતલભાઇ ખેતાણી, દિલીપભાઇ સખીયા, જીતુભાઇ ચાંગાણી, ચેતનભાઇ કોઠીયા સહિતની તેઓની ટીમનાે સહકાર કટીબદ્ધ છે. ફલ્લાથી કાલાવડ સુધીના ગામોનો વિસ્તારમાં નાની લાખાણી, મોટી લાખાણી, રણજીતપર સહિતના ગામોમાં આ વિકાસની સંકલ્પના પહોચી શકે છે અને આરોગ્ય, શિક્ષણ અને સ્થાનીક રોજગાર જેવા કામો ભવિષ્યમાં હાથ ધરી શકાય તેવુ માનવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વનસ્થલી પ્રોજેકટના ગીરીશભાઇ મહેતા, કિશનભાઇ ડાભી હાજર રહ્યા હતાં.
ગૌરવની વાત:ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક પારિતોષિક એનાયત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શાળાના શિક્ષકને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક પારિતોષિક એનાતક કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબ (ગુજરાત) અને એ. બી. સ્કૂલ પરતાપોર, નવસારીના સંયુક્ત ઉપક્રમે તા. 8 નવેમ્બર 2025નાઆયોજિત 19મો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ વર્ષ-2025ના દિવસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી ભગત ખીજડીયા પ્રાથમિક શાળાના કલ્પેશભાઈ લલીતભાઈ ચોટલીયા (ગણિત-વિજ્ઞાન મદદનીશ શિક્ષક)ને તેમના ગણિત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. શિક્ષકને મળેલી આ સિદ્ધિને શાળા પરિવાર, ગ્રામજનોએ સહિત તાલુકાના લોકોએ બિરદાવી છે.
જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસે આવેલા સુભાષચંદ્ર બોઝના પુતળાનું જામ્યુકો તંત્ર દ્વારા શિફ્ટીંગ માટે ડીમોલીશન કરાયું છે. જે ફલાયઓવર બ્રિજમાં નડતરરૂપ થતું હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. શહેરના સાત રસ્તાથી વિકટોરીયા પુલ સુધીના સાડા ત્રણ કીલોમીટરનો લાંબા ઓવરબ્રિજનું કામ પુર્ણ થવાની આરે છે. ત્યારે બ્રિજ પુર્ણ થાય ત્યાં જ સુભાષચંદ્ર બોઝનું પુતળું આવેલું હતું. તે પુતળાનું આજે રવિવારે જામ્યુકો તંત્ર દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું છે. સુભાષચંદ્ર બોઝના પુતળાનું અન્ય સ્થળે શિફ્ટિંગ કરવામાં આવશે, તેમ મ્યુ.તંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી બાજુ તંત્ર દ્વારા આ સ્ટેચ્યુ ઓવરબ્રિજની બાજુમાંથી શહેરમાં જવા માટેના રસ્તામાં નડતરુપ થતું હતું. જેથી તે પુતળાનું અન્ય સ્થળે શિફ્ટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ધર્મોત્સવ:જામનગરમાં વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના 21 તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો
જામનગરમાં વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના ઉપધાન તપની તપશ્ચર્યા પુર્ણ થતાં રવિવારે 7 માળ અને 14 અઢારીયા મળી 21 તપસ્વીઓનો વરઘોડો નિકળ્યો હતો. જેમાં સાધુ-સાધ્વીજીઓ તેમજ જૈન-જૈનતરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નગરના મુખ્ય માર્ગો પર ફરીને પરત શેઠજી દેરાસરે પુર્ણ થયો હતો. જામનગરના જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘમાં ગીતાર્થરત્નવિજયજીની નિશ્રામાં ઉપધાન તપની તપશ્ચર્યા ખુબજ આનંદ-ઉલ્લાસપૂર્વક પૂર્ણ થઈ છે. જેમાં 7 માળ અને 14 અઢારિયાના તપસ્વીઓ મળીને કુલ 21 તપસ્વીઓએ તપશ્ચર્યા પુર્ણ કરી હતી. કારતક વદ પાંચને તા. 9/11/25ના રવિવારે સવારે 8.15 કલાકે શેઠજી જૈન દેરાસરેથી ઉપધાનના તપસ્વીઓ નો રથયાત્રા નો વરઘોડો નિકળ્યો હતો. શેઠજી જૈન દેરાસર, લાલબાગ, મહિલા મંડળ, રણજીત રોડ, બેડીગેઇટ, ત્યાંથી પરત રણજીત રોડ, મહિલા મંડળ થઈને શેઠજી દેરાસરે પૂર્ણ થયો હતો. ત્યારબાદ સવારે 9.45 કલાકે પાઠશાળા હોલમાં માળ ની વિધિ અને તપસ્વીઓ નું તથા લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેનો જૈન-જૈનતરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
MKB યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તબીબી વિદ્યા શાખા તથા નર્સિંગ વિદ્યા શાખાના મહેનતાણાના દરોમાં વધારો કરવામાં આવે છે અને તે મુજબ આ બંને વિદ્યા શાખામાં નવા મહેનતાણાના દરો 22 જુલાઈ 2025થી અમલી કરાયો છે. બંને વિદ્યા શાખામાંથીયરી પ્રશ્નપત્ર કાઢવાના સ્નાતક કક્ષાએ નવા દર રૂપિયા 1,000 અને પીજી કક્ષાએ નવા દર રૂપિયા 1500 રહેશે જ્યારે થિયરી પેપર તપાસવા માટે સ્નાતક કક્ષાએ ₹100 મળશે જ્યારે પીજી કક્ષાએ રૂપિયા 200 મળશે. થીયરી પેપર તપાસવાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા રૂપિયા 1500 મળશે. પ્રેક્ટીકલ પ્રશ્નપત્ર કાઢવાના યુજી કક્ષાએ રૂપિયા 1000 અને અનુસ્નાત કક્ષાએ ₹1,500 મળશે જ્યારે પ્રાયોગિક પરીક્ષણ વિદ્યાર્થી તેમજ પરીક્ષક દીઠ યુજી કક્ષાએ રૂપિયા 50 અને પીજી કક્ષાએ ₹300 મળશે. પ્રાયોગિક પરીક્ષણમાં મિનિમમ ₹1,500 મળશે. સમગ્ર પરીક્ષાના ચેરમેન દીઠ ₹1,000 ડેઝર્ટેશન માટે પીજી કક્ષાએ રૂપિયા 1000 અને મોંઘવારીના રાજ્ય સરકારના નિયમ મુજબ મહેનતાણા આપવામાં આવશે.
અકસ્માતને નોતરું:સિહોરના પાંચતલાવડા ઝાંઝમેર રોડ પર ઉગી નીકળેલા બાવળો નડતરરૂપ
પાંચ તલાવડાથી ઝાંઝમેર જવાના રસ્તાનું કામ હજુ ત્રણ વર્ષ પહેલા પ્રધાન મંત્રી સડક યોજના હેઠળ થયેલ. હાલ આ રોડ ગેરંટી પિરિયડમાં હોવા છતા એજન્સી કે તંત્ર કોઈ નોંધ લેતું નથી રોડનું કામ ખરાબ થવાના કારણે રોડ ઉપર ખાડા પડી ગયા છે. ઉપરાંત રોડની બન્ને સાઈડના બાવળ રોડ ઉપર આવી ગયા છે. મોટર સાઇકલ જઈ શકે એટલી જ જગ્યા બચી છે બાકીની જગ્યા ઉપર ઠેર-ઠેર બાવળો ઊગી નીકળ્યા છે. પાંચ તલાવડાના સરપંચ બાલાભાઇ ડાંગર દ્વારા કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પંચાયત વલભીપુરને ફોટા મોકલી આપવામાં આવેલ છે. ફોન દ્વારા જાણ પણ કરવામાં આવેલ.આ પછી માત્ર આશ્વાસન આપવામાં આવેલ કે આ રસ્તો રિપૅર થઇ જશે પરંતુ એક મહિના જેટલો સમયગાળો પસાર થઇ ગયો હોવા છતાં આ રોડને મરામત કરવાની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલમાં લગ્નગાળાની સિઝન શરૂ થઇ ગઇ છે આથી આ રોડ પર વાહનોની સતત અવરજવર વધી ગઇ છે. પરિણામ સ્વરૂપ આ માર્ગ પર અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઇ છે. આ રોડ ગેરેંટી પિરિયડમાં હોય વહેલામાં વહેલી તકે તેનું સમારકામ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.
દીપડાનું કરંટ લાગતા મોત:ગળથર ગામે શિકારની શોધમાં દિપડો વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડ્યો, શોક લાગતા મોત
મહુવાના ગળથર વાડી વિસ્તારના એક ખેતરમાં વહેલી સવારના સુમારે સ્થાનિક લોકોને એક ખેતરમાં રહેલ વીજ ટ્રાન્સફોર્મર ઉપર એક દિપડો મૃત હાલતે જોવા મળતા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને મહુવા વન્ય જીવ વિભાગને ખેતરમાં લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં દિપડો હોવાનું લોકોએ જણાવતા વન્ય જીવ વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગત મોડી રાત્રીના દિપડો કોઇ શિકારની શોધમાં ખેતરમાં આવી ચડ્યો હોય અને વીજ ટ્રાન્સફોર્મર ઉપર કોઇ પક્ષી કે અન્ય વન્ય જીવ હોય તેનો શિકાર કરવા માટે દિપડો વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડ્યો હોવાનું વન્ય જીવ વિભાગની ટીમ અનુમાન લગાવી રહી છે. ત્યારે ઘટના સ્થળે ધસેલી વન્ય જીવ વિભાગની ટીમ દ્વારા મૃત દિપડાને ઉતારી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સર્વે નંબર આધારે ખેતર કોની માલિકીનું છે તે પણ તપાસ કરવામાં આવી રહી છે. ભાવનગર તેમજ બૃહદ ગિર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી વન્ય જીવો માટે અનુકુળ રહ્યો છે ત્યારે વન્ય જીવ સૃષ્ટીનો સારી રીતે વિકાસ થવા પામ્યો છે. મૃત દિપડાને ગેબર ખાતે ખસેડી પી.એમ. કરાયુંમહુવા વન્ય જીવ વિભાગની ટીમ અને પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા સૌ પ્રથમ ટ્રાન્સફોર્મરમાં પસાર થતો વીજ પ્રવાહને બંધ કરી, મૃત દિપડાને નીચે ઉતારાયો હતો અને પંચરોજ કામ કરી, મૃત દિપડાને ગેબર એનિમલ કેર હોસ્પિટલ ખાતે લઇ જઇ પી.એમ. કરવામાં આવ્યું હતું. તે બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પાલિતાણામાં છેલ્લા 20 વર્ષથી મૂંગા જીવની અવિરત સેવા આપતા જીવદયા ગ્રુપ ગૌસેવા સમિતિ (પાલીતાણા શહેર તથા તાલુકા) દ્વારા ચાલી રહેલા સેવાદળોની સફળ કામગીરી જોઈને પાલિતાણામાં કાયમી ચાલે તેવી 24x7 ઈમરજન્સી એનિમલ એમ્બ્યુલન્સ વાન (પશુચિકિત્સક સહીત) ની તાતી જરૂરિયાત હતી જે સેવા અવરીત આગળ વધે એ માટે રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ સેવા ગ્રુપ દ્વારા એનિમલ એબ્યુલેન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. યાત્રાધામ પાલિતાણાની પાવન ભૂમિમાં ઘેટી ગામ મધ્યે દેરાસરના પ્રાંગણમાં ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ સેવા લાભાર્થી પરિવાર મીત, પ્રિયા, અને સૂચિત મહેતા પરિવાર રાજકોટના સહયોગથી પ.પૂ. આજીવન આયંબિલ તપસ્વી આ.ભ. હેમવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવા માટે અર્હમ સેવા ગ્રુપ – 24x7 હેલ્પલાઇન નંબર 6262808003 પર ઘાયલ પશુ સારવાર માટે કોલ કરી શકાશે.
યુવતીએ જીવન ટૂંકાવ્યું:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીનો આપઘાત
સિહોરમાં રહેતી એક યુવતી ગઇકાલ સાંજથી તેમના ઘરેથી લાપતા થયા બાદ આજે સાંજના સુમારે ગૌતમેશ્વર તળાવમાંથી લાશ મળી આવતા પરીવારજનોમાં ભારે શોક છવાયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ તળાવામાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. સિહોરમાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કાજલબેન મનજીભાઇ બારૈયા ગઇકાલે સાંજના સુમારે ઘરેથી અચાનક કોઇને જાણ કર્યા વગર ગુમ થઇ ગયા હતા. જે બાદ પરિવારમાં યુવતીના બે ભાઇ તેમજ માતા-પિતા અને સંબંધીઓ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સમય બગાડ્યા વિના જ પરિવારના સભ્યો દ્વારા સિહોર પોલીસને પણ કાજલબેન ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ દાખલ કરાઇ હતી. જે બાદ પોલીસ તંત્ર પણ કામે લાગ્યું હતું અને પરિવારના સભ્યોએ આખી રાત્રી દરમ્યાન શોધખોળ કરી હતી પરંતુ કાજલબેનની કોઇ ભાળ મળી ન હતી. જ્યારે આજે તંત્ર તેમજ પરિવારને ગૌતમેશ્વર તળાવની બહાર એક યુવતીનો શંકાસ્પદ દુપટ્ટો જોવા મળી આવ્યો હતો. જે જોતા પરિવારના સભ્યોએ દુપટ્ટો ઓળખી બતાવતા કાજલબેને તળાવમાં ઝંપલાવ્યું હોય તવું તંત્રને અનુમાન લગાવતા સિહોર અને ભાવનગર ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોને કોલ મળતા જવાનો દ્વારા ગૌતમેશ્વર તળાવમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન આજે સાંજના સુમારે ચારેક વાગ્યા આસપાસ કાજલબેન ગૌતમેશ્વર તળાવમાંથી મૃત હાલતે મળી આવતા પરિવારજનોમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. યુવતીની લાશને ભાવનગર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, પોલીસે અકસ્માતે મોત થયાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર સમાચાર ઇનસાઇટસ્પર્ધાત્મક પરીક્ષાની બુક સાથે લઇને યુવતી ઘરેથી નિકળેલીકાજલબેનને છેલ્લા બે વર્ષથી માનસિક બિમારીનો ભોગ બન્યા હતા. જેથી તેમની સારવાર ચાલી રહી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમજ યુવતી છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવાનું સામે આવ્યું છે. પરિવારના સભ્યો સાથે યુવતી બેઠી હતી અને તે સ્પર્ધાત્મક પરિક્ષાની બુક વાંચી રહી હતી તે બુક સાથે લઇને તળાવમાં ઝંપલાવ્યાનું સામે આવ્યું છે. યુવતીના પિતા મજુરી કામ કરી રહ્યાં છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મુખ્ય સચિવ દાસે પૂરુ માન આપીને સિનિયર સુનયના તોમરને કહ્યુ કે, તમે ફાઈલ મને નહી પણ સીધી સીએમને મોકલશોએમ.કે. દાસને મુખ્ય સચિવ બનાવાયા બાદથી બ્યુરોક્રેટ્સમાં એક પ્રકારનો ઉત્સાહ છે. કેમકે દાસ સૌ કોઈને સાંભળે છે, સમજે છે અને જરૂર હોય ત્યાં હીંમતપૂર્વક નિર્ણય લે છે. પોતાના નીચેના અધિકારીઓને પૂરતુ માર્ગદર્શન પણ આપે છે.મનોજકુમારથી સિનિયર એવા સુનયના તોમર આ મહિનાની 30મી તારીખે વયનિવૃત્ત થઈ રહ્યા છે. બ્યુરોક્રેટ્સમાં એક એવો સિરસ્તો છે કે, સિનિયર અધિકારી ક્યારેય તેનાથી જૂનિયરને ફાઈલ મોકલતા નથી. હવે મુખ્ય સચિવ તો તમામ આઈએએસ અધિકારીઓના વડા ગણાય છે. પરંતુ દાસને ખબર છે કે, સત્તાવાર રીતે ભલે તેઓ સુનયના તોમરના બોસ હોય પણ તેઓ તેમનાથી એક ડગલુ જુનિયર છે. માટે જ તેઓએ સુનયના તોમરને કહ્યુ કે, મેડમ તમારા ડીપાર્ટમેન્ટની તમામ ફાઈલો મને મોકલવાની જરૂર નથી, તમે આ બધી જ ફાઈલો સીધી જ મુખ્યમંત્રીને મોકલી આપશો. જેના જવાબમાં સુનયના તોમરે કહ્યુ કે, નહી, હું ફાઈલ તો તમને જ મોકલીશ. ત્યાર બાદ તમારે તે ફાઈલો સીએમને મોકલવી. આમ આ બન્ને અધિકારીઓએ એકબીજાને પૂરતુ માન આપીને તેમજ પોતાની સિનિયોરીટીનુ ઉત્તમ ઉદાહરણ આપીને જૂનિયરો માટે એક દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ ગુજરાતના એક આઈએએસ અધિકારીથી નારાજ થયાકેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ ગત અઠવાડીયે ગાંધીનગરમાં આવ્યા હતા. સેમિકન્ડક્ટર તેમજ ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં ગુજરાતનુ પરફોર્મન્સ નબળુ પડી ગયુ છે. ગુજરાતમાં રોકાણ કરવાનો ઈરાદો ધરાવતી કેટલીયે કંપનીઓ હવે તામિલનાડુ,મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પોતાના પ્લાન્ટ ખોલી રહી છે. જેની પાછળનુ મુખ્ય કારણ ગુજરાતના વહીવટી અધિકારીઓની અણઆવડત અને બેદરકારી માનવામાં આવી રહી છે. મોટી કંપનીઓ ગુજરાત સરકાર સાથે રોકાણ માટે વાટાઘાટો કરે છે પરંતુ ત્યારબાદ તેઓ ગુજરાતમાં આવવાનુ પસંદ કરતી નથી. કેમકે અહીં વહીવટી પ્રક્રિયામાં ખુબ જ લાંબી હોય છે. સિંગલ વિન્ડોની માત્ર વાતો હોય તેવુ કંપનીઓને લાગી રહ્યુ છે. આ બાબતને ગંભીર ગણીને આઈટી મંત્રીએ ગાંધીનગર આવીને મુખ્યમંત્રી, ડીએસટીના કેબિનેટ મંત્રી તેમજ અન્ય સિનિયર આઈએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓને ઝડપથી મંજૂરીઓ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતુ. આ બેઠકમાં એક આઈએએસ અધિકારીએ પાવર ડેટાના સંદર્ભમાં ખોટું બોલતા જ મંત્રી અકળાઈ ગયા હતા. તેઓએ આ અધિકારીને બધાની હાજરીમાં હળવો ઠપકો આપ્યાનુ તેમજ તેમનાથી નારાજ થયા હોવાની ચર્ચા છે. રાજ્યકક્ષાના મંત્રીઓ મુલાકાતીઓને એકથી બે કલાક સુધી બહાર બેસાડી રાખે છેભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનુ રીશફલીંગ થયા બાદ તમામ મંત્રીઓએ સચિવાલયના પોતાના કાર્યાલયમાં ચાર્જ સંભાળી લીધો છે. એટલુ જ નહી, સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દરમિયાન તમામ મંત્રીઓ નાગરિકોને છૂટથી મળતા હોય છે અને તેની રજૂઆતો પણ સાંભળતા હોય છે. સામાન્ય રીતે મુલાકાતીઓ આ બે દિવસ દરમિયાન મંત્રીઓને મળવા જાય ત્યારે ખાસ કોઈ પ્રોટોકોલ હોતો નથી. એટલે કે મંત્રીના પીએને નામ સાથેની ચીઠ્ઠી મોકલવાની હોતી નથી. મુલાકાતીઓ ખૂબ જ સરળતાથી મંત્રીઓની ઓફિસમાં પ્રવેશી શકતા હોય છે. પરંતુ આ વખતે નવા આવેલા અને ખાસ કરીને રાજ્યકક્ષાના મંત્રીઓ તદન જૂનિયર હોઈ, સ્ટાફની મુશ્કેલીઓ વધી રહી છે. કેમકે, નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવવા અને મળવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. ગત સોમ અને મંગળવારે પણ ઘણી ભીડ દેખાતી હતી. બેથી ત્રણ મંત્રીને ત્યાં લાંબી લાઈન લાગી હતી. કેટલાક લોકોને મંત્રીને મળવા માટે એકથી બે કલાકની રાહ જોવી પડી હતી. આ સમયે કોઈ મુલાકાતીએ મંત્રીના પીએની ઓફિસનો દરવાજો ધીમેથી ખોલીને જોયુ તો મંત્રી કોઈની સાથે ફોન પર ગપ્પા મારતા હતા જ્યારે બીજી બાજુ મુલાકાતીઓ બહાર રાહ જોતા હતા. મુલાકાતીઓ ઈચ્છી રહ્યા છે કે, અમે બહારગામથી આવીએ છીએ માટે અમને લાંબો સમય સુધી રાહ જોવડાવવાનુ યોગ્ય નથી. પૂર્વ મંત્રીઓના પર્સનલ સેક્રેટરીઓ નવરાધૂપ, પગાર ચાલુ પણ વેઈટીંગ ફોર પોસ્ટિંગમંત્રીમંડળના રીશફલીંગમાં અનેક મંત્રીઓને પડતા મુકાયા છે. જેથી સરકારના GADએ પણ મંત્રીઓ માટે નવા પીએ-પીએસ આપ્યા છે. જો કે, આ સ્ટાફ પણ કામચાલાઉ છે. હવે આગામી સમયમાં નવા મંત્રીઓને ત્યાં ફરીથી પીએ-પીએસ મુકાશે. દરમિયાનમાં પૂર્વ મંત્રીઓના પર્સનલ સેક્રેટરીઓને તો ક્યારનાય છૂટા કરી દેવાયા હતા. હવે તેઓ જીએડીના હવાલે છે. જૂદા જૂદા મંત્રીઓને ત્યાં કાયમી ખુબ જ બીઝી રહેતા આ પીએ-પીએસ અત્યારે કોઈ કામ વગરના સાવ નવરાધૂપ થઈને બેઠા છે. તેઓ વેઈટીંગ ફોર પોસ્ટિંગ છે. આ આધિકારીઓ મોટાભાગે ક્લાસ-1 અને ક્લાસ-2ના છે. જીએડીએ હજુ સુધી તેમને કોઈ ચાર્જ સોંપ્યો નથી. આ પૈકીના કેટલાક તો માત્ર થોડો સમય પહેલા જ મંત્રીઓને ત્યાં ડેપ્યુટેશન પર આવ્યા હતા. તેઓ માટે તો બાવાના બેય બગડ્યા જેવો ઘાટ સર્જાયો છે. નવરા બેસીને કંટાળેલા આ અધિકારીઓ હવે પોતાને નવી કઈ જગ્યાએ નિયુક્તિ થશે તેની કાગડોળે રાહ જોઈ રહયા છે. મંત્રીઓ-તેમના પીએ બદલાય છે પણ તેના કાર્યાલયના સ્ટાફની બદલી થતી નથી હવે સ્વર્ણિમ-1 અને સ્વર્ણિમ-2ના બેસતા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને જ્યારે પણ પડતા મુકવામાં આવે છે ત્યારે તેના પીએ-પીએસની પણ બદલીઓ થઈ જતી હોય છે. ત્યારબાદ નવા આવતા મંત્રીઓ પોતાને અનુકુળ આવે એવા પીએ-પીએસ રાખતા હોય છે. જે અલગ અલગ ડીપાર્ટમેન્ટમાંથી ડેપ્યુટેશન પર મુકાતા હોય છે. બીજી બાજુ દરેક મંત્રીનુ પોતાનુ કાર્યાલય હોય છે. જ્યાં બધી ફાઈલો આવતી હોય છે. ઝેરોક્ષ મશીન,કોમ્યુટરો સહિતનો ત્રણથી ચાર માણસોનો સ્ટાફ હોય છે. આ કર્મચારીઓ મોટાભાગે કોન્ટ્રાક્ટ બેઝ અથવા તો આઉટસોર્સિંગથી આવતા હોય છે.મંત્રીઓ અને તેના પીએ-પીએસ બદલાય જાય છે પણ મંત્રીઓના કાર્યાલયનો સ્ટાફ ભાગ્યે જ બદલાતો હોય છે. સચિવાલયમાં ચર્ચા છે કે, કાર્યાલમા કેટલાક કર્મચારીઓ તો છેલ્લા 10થી 15 વર્ષથી નોકરી કરી રહ્યા છે. સ્ટાફના જે કેટલાય પીએ-પીએસ ચર્ચા કરતા હોય છે કે, આ કર્મચારીઓ કેટલીક માહિતીઓ લીક કરે છે. એટલે કે કંપની કે જે તે પાર્ટી સાથે સેટીંગ કરીને ફાઈલની ઝરોક્ષ કોપી તેમને આપી દેતા હોય છે. માટે ઘણા વર્ષોથી અહીં ચીટકી રહેલા આવા કર્મચારીઓને પણ દૂર કરવા જોઈએ. ભાજપના પ્રમુખ-વિસ્તરણની જેમ હવે શું ભાજપ સંગઠનની નિમણૂકમાં પણ રાહ જોવી પડશે કે શું ?મંત્રીમંડળના વિસ્તરણમાં તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ખાસ્સો સમય નીકળી ગયો હતો. ત્યારબાદ દિવાળી પહેલા જ નવા પ્રમુખ અને રીશફલીંગ થઈ ગયુ હતુ. એ સમયે એવી વાતો થતી હતી કે, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હવે ટુંક સમયમાં જ પોતાની નવી ટીમ બનાવી દેશે. જેમાં ખાસ કરીને ચાર મહામંત્રીઓ અને વિવિધ સેલના કન્વીનરો ખૂબ જ મહત્વના ગણાય છે. જેને પગલે કેટલાય આગેવાનો-નેતાઓએ સંગઠનમાં સ્થાન મેળવવા માટે લોબીંગ પણ શરુ કરી દીધુ હતુ. પરંતુ હજુ સુધી એકપણ નિમણૂક થઈ નથી. જેને પગલે ભાજપના આગેવાનો અને કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે કે, શું આપણ મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની નિમણૂકની જેમ સંગઠનમાં નિમણૂકો ક્યારે થશે તેની લાંબો સમય રાહ જોવી પડશે કે શું? જો કે, ભાજપના નેતાઓ માને છે કે, આવુ થવાની શક્યતા તો નથી. કેમકે, મ્યુનિ.કોર્પોરેશન સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આગામી મહિનાઓમાં આવી રહી હોવાથી આગામી દિવસોમાં જ ભાજપ સંગઠનમાં મહત્વની નિમણૂકો કરી દેવાશે. ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના, સુનયના તોમરને સુપરસીડ કરાયા પણ સચિવાલય બહાર ન મોકલાયાગુજરાતના બ્યુરોક્રેટ્સમાં એક અદભૂત ઘટના બની છે. જેમાં હાલના એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને સુપરસીડ કરાયા હોવા છત્તા તેમને સચિવાલયની બહાર નથી કઢાયા.હવે તેઓ આ મહિનાની 30મીએ વયનિવૃત્ત થવાના છે.મુખ્ય સચિવની પસંદગીમાં સૌથી સિનિયર આઈએએસ અધિકારીની જ પસંદગી કરવાનો વણલખ્યો નિયમ છે. સિનિયરની અવગણના કરીને જો તેનાથી જૂનિયરને મુખ્ય સચિવ બનાવવા હોય તો આવા સિનિયર અધિકારીઓનેસુપરસીડ કરી તેમને સચિવાલયના કોઈપણ ડીપાર્ટમેન્ટનો ચાર્જ અપાતો નથી અને જીએસએફસી જેવા કોઈપણ બોર્ડ-નિગમના ચેરમેન બનાવાતા હોય છે. ઉપરાંત મુખ્ય સચિવની હાજરી હોય એવી કેબિનેટ કે અન્ય કોઈપણ બેઠકમા મુખ્ય સચિવ કરતા સિનિયર હોય એવા આઈએએસ અધિકારી હાજર રહેતા નથી. ભુતકાળમાં જ્યારે સિનિયરને સાઈડલાઈન કરીને જુનિયરને મુખ્ય સચિવ બનાવાયા ત્યારે પણ તેના સિનિયરોને સુપરસીડ કરીને સચિવાલયની બહાર મોકલી દેવાયા હતા. આવા અધિકારીઓમાં સુનીલ સુદ, સુબ્બારાવ,સંજય નંદન,વરેશ સિન્હા,એસ કે નંદા અને અરવીંદ અગ્રવાલનો સમાવેશ થાય છે.પરંતુ સુનયના તોમર સુપરસીડ થયા પછી પણ સચિવાલયમાં જ રહ્યા હોય તેઓ એક માત્ર અધિકારી છે. મંત્રીઓ-આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરની તારીખો બદલાઈઆગામી13,14 અને 15 નવેમ્બરે વલસાડના ધરમપુર ખાતે આઈએએસ અધિકારીઓ અને મંત્રીઓની ચિંતન શિબિર યોજાવાની હતી. પરંતુ 15મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડા આવી રહ્યા હોય આ ચિંતન શિબિરને થોડા દિવસો પાછળ ધકેલાઈ છે. એટલે કે હવે આ શિબિર 27.28 અને 29 નવેમ્બરે મળશે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના આદેશને કેટલાક હોદેદારો ગંભીરતાથી ન લેતા હોવાની ચર્ચાભાજપ શિસ્તબધ્ધ પાર્ટી કહેવાતી હોવાના ઉદાહરણો ભાજપના નેતાઓ તેમના કાર્યકર્તાઓને આપતા હોય છે પરંતુ ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ શિસ્તતા ભૂલી પ્રોટોકોલ જાળવવાનું ભૂલી જાય છે. અમદાવાદના કેટલાક હોદ્દેદારો શહેર ભાજપના પ્રમુખનું જ સાંભળતા ન હોવા અંગેની ચર્ચા જાગી છે. પ્રમુખની સૂચના કે તેમના આદેશને કાર્યકરો તેમજ હોદ્દેદારો ઘોળીને પી જતાં હોય છે. જોકે શહેર પ્રમુખ પણ અનેક વાદવિવાદો થતા હોવા છતાં પણ તેમની સામે ઢીલી નીતિ અપનાવતા હોવાથી હોદ્દેદારો હવે તેમના ગણકારતા નથી. આગામી નવું શહેર સંગઠન તૈયાર થવાનું છે અને કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે ત્યારે અમદાવાદ શહેરમાં ભાજપમાં ખૂબ મોટો ભડકો થાય તેવી ચર્ચા જાગી છે. ભાજપ મહિલા મોરચામાં સ્થાન મેળવવા લોબિંગ શરૂભાજપ મહિલા મોરચામાં સ્થાન મેળવવા માટે કેટલીક મહિલાઓ દ્વારા લોબીંગ શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક મહિલા નેતાઓ આજકાલ ભાજપના અને પ્રદેશ પ્રમુખના કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહ્યા છે. ગુજરાત ભાજપમાં નવું સંગઠન બનવા જઈ રહ્યું છે ત્યારે પ્રદેશ અને શહેરમાં સ્થાન મેળવવા માટે થઈને મહિલાઓ કાર્યક્રમમાં હાજરી આપી રહી છે. શહેરમાં હોદ્દો ધરાવનાર એક મહિલા હોદ્દેદારનું પ્રમુખ પદના દાવેદાર તરીકે તેમજ પ્રદેશની ટીમમાં પણ સ્થાન મેળવવા અંગેની ચર્ચા જાગી છે. આરોગ્ય વિભાગના એક અધિકારી કમિશરનની ઝપટે ચડી ગયા!અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ફરજ બજાવનારા એક ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી આ વખતે મ્યુનિસિપલ કમિશનરની ઝપેટમાં ચડી ગયા હતા. શહેરમાં રોગચાળો વધે કે કેસો વધે છતાં બધુ કાબુમા હોવાની ઉચ્ચ અધિકારીઓને સમજાવટ કરનાર અધિકારીનું આ વખતે ચાલ્યું નહીં અને કમિશનરે એવા ઝાટક્યા કે સાહેબને આંકડાઓ કાઢવા પડ્યા હતા. જોકે આ સાહેબની ખૂબી આંકડામાં ખૂબ સારી હોવાની ચર્ચા છે એસી ઓફિસમાં બેઠા બેઠા આ સાહેબના આંકડા બદલાતા હોય છે. આ સાહેબ એસી ઓફિસમાં બેસીને આંકડા નક્કી કરે છે પરંતુ ફિલ્ડમાં ન જોવા મળતા હવે કદાચ આવતા અઠવાડિયે ફિલ્ડમાં જવાની પણ સૂચના મળે તો નવાઈ નહીં.
ભાવનગર શહેરના દાંતીયાવાળી શેરીમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકના પુત્રએ નશાખોર હાલતમાં બે શખ્સો સાથે મળી માસ્ટરમાઇન્ડના સંચાલકને માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી, મારી નાંખવાનો પ્રયાસ હાથ ધરાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સંચાલકે તેમના એન્જીનીયરને પ્લોટની માંપણી માટે મોકલ્યા હતા જ્યાં ત્રણ શખ્સોએ રોફ જમાવી એન્જીનીયરનું બાઇક ઝૂંટવી લઇ ગાળો આપતા એન્જીનીયર યુવક ભયને લીધે જતો રહ્યો હતો બાદમાં સંચાલક ત્રણેય શખ્સોને સમાજવવા ગયા હતા જ્યાં સંચાલક પાસેથી દસ હજાર રૂપીયા લૂંટી લઇ, મારી નાંખવાનો પ્રયાસ કરી, પચાસ હજારની માંગણી કરી હોવાનું સંચાલકે જણાવ્યું હતું. જે મામલે ગંગાજળિયા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં રહેતા અને માસ્ટરમાઇન્ડ નામે ક્લાસીસ ચલાવતા મુતુર્ઝાભાઇ અબ્દુલ્લાભાઇ નામના યુવકે દાંતીયાવાળી શેરીમાં તેમનો પ્લોટ આવેલ હોય જે પ્લોટ ઉપર મુતુર્ઝાભાઇએ તેમના એન્જીનીયરને પ્લોટ માપણી માટે મોકલ્યા હતા. જ્યાં અગાઉથી હાજર કોંગ્રેસ નગર સેવક ગીતાબેનના પુત્ર કુમાર ઉર્ફે ભુરો અને અન્ય બે શખ્સોએ નશાની હાલતમાં એન્જીનીયર યુવક પાસેથી બાઇક આંચકી લઇ, મારમારતા તે એન્જીનીયર ત્યાંથી જતો રહ્યો હતો. જેની જાણ મુતુર્ઝાભાઇને થતાં તેઓ ઘટના સ્થળે ગયા હતા તો તેને પણ ત્રણેય શખ્સોએ માથાના ભાગે ત્રણ ધોકાના ઘા ઝીંકી,મારી નાંખવાનો પ્રયાસ કરી, દસ હજાર રૂપિયા લૂંટી, પચાસ હજારની ખંડણી માંગી, જાનથી મારી નાંખવાની ધમકી આપતા મુતુર્ઝાભાઇને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ગંગાજળિયા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી હોવાનું મુતુર્ઝાભાઇએ જણાવ્યું હતું. આ મામલે ગંગાજળીયા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે જ્યારે ત્રણેશ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંજાના કેસમાં છુટીને ફરી કુમારે કારસ્તાન કર્યુંથોડાક સમય અગાઉ ગાંજાના જથ્થા સાથે ગંગાજળિયા પોલીસે કુમાર ઉર્ફે ભુરાની ધરપકડ કરી હતી. અને જે કેસમાં સજા કાપીને જામીન ઉપર બહાર આવીને ફરી કુમારે કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે.
કોળી સમાજના જીવનસાથી પસંદગી મેળો યોજાયો:અંતરિયાળ ગામડાથી લઈ કેનેડા સુધીના યુવક-યુવતીઓ જોડાયા
ભાવનગર જિલ્લા તળપદા કોળી સમાજ સેવા સમિતિ દ્વારા સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓ માટે ગુજરાત રાજ્ય કક્ષાનો જીવન સાથી પસંદગી મેળો ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડેટોરિયમ ખાતે યોજાઈ ગયો. આ પસંદગી મેળામાં જિલ્લા અને સૌરાષ્ટ્રના અંતરીયાળ ગામડાથી શરૂ કરી કેનેડામાં સ્થાયી થયેલ કુલ 165 યુવતીઓ અને 162 યુવકોએ આ પસંદગી મેળામાં ભાગ લીધો હતો. તેમાં ધોરણ 12 થી શરૂ કરી, સરકારી નોકરીયાતો, એન્જિનિયરો, વકીલાત, એમ.ડી. ડોક્ટર, પોતાનો બિઝનેસ કરતા યુવક યુવતીઓ પોતાના જીવન સાથીની પસંદગી માટેના જોડાયા હતાં. ભાવનગર જિલ્લાના પ્રતિષ્ઠિત અને સમાજની સામાજિક અને શૈક્ષણિક પ્રગતિની સતત ચિંતા કરતા આયોજકોએ યુવક અને યુવતીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર નિશુલ્ક પસંદગી મેળાનું આયોજન કરી ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મેળામાં ભાગ લેનાર તમામ યુવક અને યુવતીઓને વિક્રમભાઈ બારૈયા તરફથી તુલસીનું કુંડું ભેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કે.બી.ગોહિલ, નાનુભાઈ ગોહિલ, ભરતભાઈ વાઘેલા, કિશોરભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ મકવાણા, ડો. નરવણભાઈ બારૈયા, પરેશભાઈ રોજસરા, બાબુભાઈ યાદવ, કેતનભાઈ ખાસિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
શહેરમાં વર્ષોથી પોસ્ટ વિભાગનો વિસ્તાર થંભી ગયો છે. શહેરની વસ્તી વધતી રહી પરંતુ પોસ્ટ ઓફિસોની સંખ્યા એ જ જગ્યાએ અટકી ગઈ છે. ભાવનગરની પોસ્ટલ વ્યવસ્થા વર્ષોથી જૂની માળખામાં ચાલી રહી છે, જેના કારણે હજારો નાગરિકોને પોતાના દૈનિક પોસ્ટલ કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોટાભાગના નિવૃત્ત લોકો પોતાના પૈસા પોસ્ટમાં જમા રાખતા હોય છે અથવા તો પેન્શન લેવા પોસ્ટ ઓફિસ સુધી જતાં હોય છે. બીજાને અનેક વ્યવહારિક કામો પોસ્ટ માધ્યમથી જ થતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે ઘણા વિસ્તારોના નાગરિકોને લાંબા અંતર સુધી જવું પડે છે. ખાસ કરીને વયોવૃદ્ધો માટે આ નિયમિત મુસાફરી મુશ્કેલીભરી બની ગઈ છે. શહેરનો વિસ્તાર છેલ્લા બે દાયકામાં અનેકગણી રીતે વધ્યો છે. રીંગ રોડ, તરસમિયા, અકવાડા, અધેવાડા, નારી, વાળુકડ, ચિત્રા જેવા વિસ્તારોમાં વસવાટમાં ભારે વધારો થયો છે. પરંતુ પોસ્ટ વિભાગે નવા વિસ્તાર મુજબ પોતાનો વિસ્તાર વધાર્યો નથી. હજી પણ ભાવનગરના પીનકોડ 364001 થી 364006 સુધી જ સીમિત છે, જે વર્ષોથી બદલાયા નથી. વધેલી વસ્તી અને વધેલા મકાનોને કારણે ટપાલ વ્યવસ્થા ગડબડભરી બની છે, આ જુના પીનકોડોમાં વસ્તી અને મકાનોનું ભારણ વધ્યું છે, ચિઠ્ઠીઓ ખોટા સરનામે પહોંચે છે, પાર્સલમાં વિલંબ થાય છે અને ફરિયાદો વધતી જાય છે. શહેરની વસ્તી જ્યારે ચાર લાખ હતી, ત્યારે ભાવનગરમાં નવ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી. આજે આ વસ્તી સાત લાખને પાર પહોંચી ગઈ છે, છતાં પોસ્ટ ઓફિસોની સંખ્યા એ જ છે. હાલ હેડ પોસ્ટ ઓફિસ સિવાય માત્ર આઠ સબ ઓફિસ કલેક્ટરેટ, ઘોઘા સર્કલ, વડવા, ખારગેટ, તખ્તેશ્વર, પરા, ચિત્રા અને કુંભારવાડા વિસ્તારની ઓફિસો પરથી શહેરનું કામ ચાલે છે. જેની અસરના લીધે કાળીયાબીડ, રીંગરોડ, સીદસર, નારી, અકવાડા, હિલ પાર્ક જેવા વિસ્તારોના નાગરિકોને દૈનિક પોસ્ટલ કાર્ય માટે દૂર સુધી જવું પડે છે. નાગરિકો જણાવે છે કે અનેક વખત માત્ર એક પાર્સલ કે પેન્શન વાઉચર લેવા માટે પણ ત્રણથી ચાર કિલોમીટર મુસાફરી કરવી પડે છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે પોસ્ટ વિભાગે શહેરના નવા વિસ્તારોમાં તાત્કાલિક નવી સબ પોસ્ટ ઓફિસો સ્થાપે અને વધેલી વસ્તી પ્રમાણે નવા પીનકોડ ફાળવે. પોસ્ટ વિભાગના ATM બંધ હાલતમાંપોસ્ટ વિભાગ દ્વારા મોટા ઉપાડે ATM વ્યવસ્થા શરૂ કરાઈ હતી તે સમયે જાહેરાત કરાઈ હતી કે ATM શહેર જિલ્લામાં કાર્યરત કરાશે જેથી પોસ્ટના હજારો ગ્રાહકોને સુવિધા વચ્ચે તેવું થયું નથી, ATM બીજી બેંકોમાં પણ ચાલશે પણ તે ખાનગી બેંકોમાં ઉપયોગમાં આવતા નથી, હેડ ઓફિસે પણ ATM ઘણી વખત બંધ હાલતમાં હોય છે.
કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડી 2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનો વૈશ્વિક લક્ષ્યાંક છે ત્યારે ભાવનગરની મધુસિલિકા પ્રા.લી. કંપનીએ લંડનની મેસર્સ હેલીયન કંપનીના પ્રતિનિધિઓ જે સેન્સુડાઈન પેસ્ટ જેવી તેમની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના ઉત્પાદકો છે તેમની હાજરીમાં ભાવનગર ખાતે ચોખાના ભુસાની રાખમાંથી સિલિકા ગ્રેડ બનાવવાના 1 આધુનિક પ્લાન્ટનો પ્રારંભ કર્યો છે. ભાવનગર સ્થિત ભારતની સૌથી મોટી અને વિશ્વની ત્રીજા નંબરની સિલીકાનું ઉત્પાદન કરતી મધુ સિલીકા કંપનીએ તાજેતરમાં વિશ્વના મહાનુભાવોની હાજરીમાં ચોખાના ભુસાની રાખમાંથી બનાવેલ પ્રીસિયેટેડ સિલીકાના ઉત્પાદનના પ્લાન્ટનો આરંભ કરેલ છે. સમાજની આર્થિક વિકાસ, સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણનાં ધ્યાનમાં રાખી આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. ટાયર, રબ્બર, ટુથપેસ્ટથી લઈ ફાર્માસ્યુટીકલ કંપનીઓ માટે સિલીકાની વિવિધ ગ્રેડનું ઉત્પાદન મધુસિલીકા કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને કંપની પાસે 295 હજાર ટનની ક્ષમતાવાળા 4 પ્લાન્ટ છે જે 60થી વધુ વિવિધ ગ્રેડોનું ઉત્પાદન કરે છે. સંશોધનના એક ભાગરૂપે ચોખાના ભુસાની રાખમાંથી બનાવેલ પ્રીસિપિયેટેડ સિલીકાનું ઉત્પાદન શરૂ કર્યું છે. મધુ સિલીકા પ્રાઈવેટ લી.ના યુવા એમ.ડી. દર્શક શાહે 2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના વૈશ્વિક લક્ષ્યને આવકારી આ દિશામાં મહ્તવનું પગલું ભર્યું છે. ભાવનગર ખાતે લંડનના મેસર્સ હેલિયનના રિચાર્ડ ક્રેને અને રમણસિંઘ જે ટુથપેસ્ટની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સેન્સુડાઈનના ઉત્પાદક છે તેમની હાજરીમાં આ નવા પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. મેસર્સ હેલિયનના સહયોગથી ભારતીય કંપની મધુસિલિકાને એકઅદકેરી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.
મંડે પોઝિટીવ:ભાગીયાનો ઉપાડ માફ કર્યો સરકારી સહાય પણ આપશે
ભાવનગર જિલ્લાના જેસરના મુન્નાભાઈ રબારીકાએ એમની 1200 વીઘા જમીનમાં કામ કરતા ભાગીયાઓનો તમામ ઉપાડ માફ કરી સરકારી સહાયમાંથી પણ ભાગીયઓને ભાગ આપવાની જાહેરાત કરી એક પ્રેરણાદાયી પગલું ભર્યું છે. રબારીકા ગામના મુન્નાભાઈ તરીકે ઓળખાતા શિવરાજભાઈ રામજીભાઈ વિંછીયાએ તેમની 1200 વીઘા જેટલી જમીનમાં વાવેલો પાક નિષ્ફળ જતા તેમના ભાગીયઓને કોઈ પ્રકારનો આર્થિક બોજો ન પડે તે માટે ઉપાડ તરીકે ભાગીયાઓએ બિયારણ ખરીદવા કે પ્રસંગ ઉકેલવા લીધેલી તમામ સહાય માફ કરવાની જાહેરાત કરી છે. જે અન્ય માટે પણ અનુકરણીય બાબત છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે જે સહાય જાહેર કરી છે તેમાંથી પણ મોટાભાગનો ભાગ આ ભાગીયાઓને આપી દેશે. તેમણે 18 વર્ણના તમામ લોકો સરખા હોવાનું જણાવી મુશ્કેલીના સમયમાં આ શ્રમજીવીઓની સાથે ઊભા રહેવાની જાહેરાત પણ કરી છે. સમાજ માટેના આ પ્રેરણાદાયી પગલાની સરાહના થઈ રહી છે અને અન્ય પહોંચતા પામતા ખેડૂતો પણ પોતાના ભાગીયાઓ માટે આવુ પ્રેરણાત્મક પગલુ ભરે એવો અનુરોધ કરાયો છે.
સિટી એન્કર:દેશમાં એક માત્ર ગુજરાતમાં ધો.12 સા.પ્ર.માં 7 વિષય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ગત વર્ષે સુધારાના પગલાં રૂપે ધોરણ 10 માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ રાખી શકશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે તે તર્કસંગત ન લાગતું હોવા છતાં શૈક્ષણિક સુધારા અને સીબીએઇઇ મુજબ ગણાવી દેવાયું છે ત્યારે 15 વર્ષથી શૈક્ષણિક સુધારાઓ બોર્ડ દ્વારા કરવામાં આવે છે ત્યારે વિજ્ઞાન પ્રવાહની તુલનામાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જાણે ઓરમાયા હોય તેવું વર્તન કરવામાં આવે છે. ધો. 12 સામાન્ય પ્રવાહમાં દેશના કોઈપણ રાજ્યમાં સાત વિષયો ભણાવતા નથી અને તેની બોર્ડ દ્વારા પરીક્ષા પણ લેવાતી નથી, પાંચ જ વિષય હોય છે. ધો.12ના સા.પ્ર.ના સાડા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ભર્યું વર્તન કરીને તેમાં કોઈ સુધારા કરવામાં આવતા નથી અને ગુજરાતના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વર્ષોથી સાત વિષયનો ભાર વહન કરે છે અને 14 વર્ષથી શૈક્ષણિક સુધારાઓ થઈ રહ્યા છે પણ આ બાબતે કોઈ નિર્ણય લેવાતો નથી. જે અન્યાયકારી છે. આ અંગે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે . હવે સુધારાથી આ બેઝિક ગણિત વાળા એટલે કે ધો.10 સુધીના ગણિતમાં નબળા વિદ્યાર્થીઓ પણ સ્ટાન્ડર્ડ ગણિત વાળાની સાથે અઘરા ગણિત સાથેના એ ગ્રુપમાં ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે. એ ગ્રુપના વિદ્યાર્થીઓને ગણિત એ મુખ્ય વિષય હોય છે ત્યારે વિરોધાભાસ એ છે કે જે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા હોય કે સાયન્સ રાખવા માગતા ન હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ રાખે છે જ્યારે જે વિદ્યાર્થીઓને એ ગ્રુપમાં જઈને કારકિર્દી ઘડવી હોય તેઓ સ્ટાન્ડર્ડ ગણિત ભણે છે. ત્યારે ઇજનેરી કોલેજોમાં જેટલી બેઠકો હોય છે. એટલા વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપમાં હોતા નથી અને તેમાંથી પાસ થવા વાળા તો તેનાથી પણ ઓછા હોય છે તેથી ઇજનેરી કોલેજોમાં બેઠકો ખાલી રહે છે અને દર વર્ષે 30,000થી વધુ બેઠકો ડિગ્રી ઇજનેરીમાં ખાલી રહી જતી હોય આ કોલેજો ભરવા માટે આ નિર્ણય થયો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટધો.10માં ગણિત-વિજ્ઞાનના બે પુસ્તકોની માગસીબીએસઇ દ્વારા બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત લવાયુ તે જ પ્રમાણે બે પેપર તે જ પ્રમાણે ઇન્ટરનલ માર્કસની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હવે આ વર્ષે CBSEએ બેઝિક મેથ્સ વાળાને એ ગ્રુપમાં પ્રવેશ આપવાની નીતિ અપનાવી તો ગુજરાત બોર્ડ એ પણ એ જ નિયમ બનાવ્યો. ધો.10માં ગણિત અને વિજ્ઞાનના બે જુદાજુદા પાઠ્યપુસ્તકોની માગણી અનેક વખત કરવામાં આવી છે પરંતુ તે વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. > પરેશ ત્રિવેદી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક
ગોહિલવાડ પર મેઘરાજા મહેરબાન:ભાવનગર 163 % સાથે વરસાદની ટકાવારીમાં રાજ્યમાં પ્રથમ
એક સમયે ભાવનગર જિલ્લો દુષ્કાળીયો પ્રદેશ ગણાતો અને દર ત્રણેક વર્ષે એકાદું વર્ષે વરસાદની અછતનું રહેતું. પણ 21મી સદીમાં આ ચિત્ર બદલાયું છે અને 25 વર્ષે પહેલા જિલ્લામાં સરેરાશ વરસાદ 18 ઇંચ માંડ વરસતો તે હવે વધીને 25 ઇંચ થઇ ગયો છે. તેમાં પણ આ વર્ષે તો વરસાદની ટકાવારીમાં સમગ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લો 163.40 ટકા વરસાદ સાથે પ્રથમ ક્રમે છે. રાજ્યમાં આ વર્ષે એવરેજ વરસાદ 127.57 ટકા વરસ્યો છે એટલે રાજ્યની એવરેજથી ભાવનગર જિલ્લામાં 35.83 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં વરસાદની વાર્ષિક એવરેજ 627 મી.મી.ની છે તેની સામે આ વર્ષે 1026 મી.મી. વરસાદ વરસી ગયો છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં વરસાદે ઘણા વિક્રમો સર્જ્યા છે. જેમાં રાજ્યમાં જે ત્રણ તાલુકામાં 200 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે તેમાં બે તાલુકા સિહોર અને મહુવા ભાવનગરના છે. મહુવામાં વરસાદની વાર્ષિક એ688 મી.મી.ની છે તેની સામે આ વર્ષે 1733 મી.મી. એટલે કે 251.89 ટકા વરસાદ વરસ્યો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં નંબર વન છે. જ્યારે સિહોરમાં વરસાદની વાર્ષિક એવરેજ 645 મી.મી. છે તેની સામે 1381 મી.મી. વરસાદ વરસ્તા 214.11 ટકા વરસાદ વર્સયો છે. રાજ્યમાં ત્રીજા ક્રમે સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકા છે જ્યાં 821 મી.મી.ની વાર્ષિક એવરેજ સામે 1711 મી.મી. એટલે કે 208.40 ટકા વરસાદ વરસી ગયો છે. આ સિવાય રાજ્યમાં કોઇ તાલુકામાં 200 ટકા વરસાદ વરસ્યો નથી. વરસાદમાં ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યમાં 5 જિલ્લા વરસાદમાં ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યમાં 5 તાલુકા શું કામ વધ્યો વરસાદ ?ભાવનગર જિલ્લામાં ઋતુ પરિવર્તન કે ગ્લોબલ વોર્મિંગથી વરસાદ વધતા હવે વરસાદે સમસ્યાનું સ્વરુપ ધારણ કર્યું છે. સામાન્ય રીતે 120 દિવસના ચોમાસાના દિવસોમા એવરેજ 30 દિવસ વરસાદ ભાવનગરમાં આવે છે. 2025ના વર્ષમાં 16 જુનથી 5 નવેમ્બર સુધીના 143 દિવસમાં જૂન (5 દિવસ),જુલાઈ (12 દિવસ).ઓગષ્ટ (10 દિવસ),સપ્ટેમ્બર (8 દિવસ),ઑક્ટોબર (7 દિવસ)અને નવેમ્બર (3 દિવસ) થઈ કુલ 45 દિવસ દિવસ વરસાદ નોંધાયો છે. નજીકના વર્ષોમાં 2009, 2010, 2011, 2013, 2020 અને 2021 દરમિયાન સરેરાશ વાર્ષિક દિવસો કરતા વધુ દિવસો નોંધાયા છે. જે બદલાતા ઋતુ ચક્રનો નિર્દેશ આપે છે. ડો.બી.આર.પંડિત, હવામાનશાસ્ત્રી
ગિરનાર બનશે સુરક્ષિત:ગિરનારમાં 51 લાખના ખર્ચે 100 CCTV લાગશે
ગિરનારના ટોચના એવા ગોરક્ષનાથની જગ્યા ઉપર થોડા દિવસ પહેલા ગોરક્ષનાથની મૂર્તિની તોડફોડની ઘટના બની હતી. જેમાં આખા રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ભવનાથક્ષેત્રમાં સનાતન અને જૈન ધર્મમાં સંતોની એક બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આવી ઘટના બીજીવાર ન બને અને જો બને તો આરોપીઓ તાત્કાલિક પકડાય જાય એ માટે સીસીટીવી પ્રોજેક્ટની ચર્ચાઓ થઇ હતી. ગિરનારની સીડીથી માંડી તમામ ટુંક પર 100 જેટલા સીસીટીવી લગાવવાની કામગીરી માટે ખર્ચનો અંદાજો લગાવવામાં આવ્યો હતો. આ અંદાજા પ્રમાણે સનાતન ધર્મના સંતો પાસેથી શેરનાથબાપુ અને જૈન ધર્મના સંતોપાસેથી નમ્રમુની મ.સા.એ ફાળો કરી રવિવારે રૂપિયા 51લાખનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોપ્યો હતો. જૂની- નવી બંને સીડી પર હવે બાજ નજર રહેશે ગોરનાથ મૂર્તિ ખંડિતની દુર્ધટના જેવી ઘટના ન બને તે માટે સાધુ-સંતોએ સીસીટીવી લગાવવાનો નિર્ણય કર્યો હતો . જેને અનુસંધાને સનાતના સાધુ- સંતો અને જૈન ધર્મના સંતોએ મળી રૂપિયા 51 લાખનો ફાળો કર્યો છે. જેનાથી ગિરનારની બંને સીડીમાં પહેલા પગથીયાથી ટૂંક સુધીમાં યોગ્ય સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવશે. બાદમાં ગિરનારની બંને સીડી પર તંત્રની બાજ નજર રહેશે.
ગામ ગામની વાત:ગોરસર ગામ સામાજિક અને ધાર્મિકતાથી ઉભરી આવ્યું
પ્રાચીન મધુવનમાં ગોરસર ગામનો પણ સમાવેશ થઈ જતો હતો. મુખ્યત્વે ગોરસેરા એટલેકે પરમાર શાખાના મહેરોની વસ્તી ધરાવતું આ ગામ શાંત, સહિષ્ણુ અને ભાઈચારો ધરાવતું ગામ છે. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. એક માન્યતા મુજબ દ્વારિકા - સોમનાથના ધર્મપથ પર રાહદારી વટે માર્ગુઓની આગતા સ્વાગતા અને સેવા સુશ્રુષા આ ગામે રહીને કરતાં એક ગોર બ્રાહ્મણની સ્મૃતિને જીવંત રાખવા આ ગામનું નામ ગોરસર પડ્યું હોવાનું અનુમાન છે. આ ગામે નાગબાઈ માતાજીનું મંદિર છે. નાગબાઈ માતાજી દ્વારકાની યાત્રાએ નીકળ્યા ત્યારે નવરાત્રીના નવ દિવસ અહીં રોકાયા હતા. આ જગ્યાએ રાયણનું એક વિશાળ ઝાડ આવેલ છે. માતાજીની સાથે પદયાત્રામાં સામેલ તેમના પુત્ર ખુંટકરણ પરથી આ જગ્યાનું નામ ખુંટવડ પડયુ છે એવું માનવામાં આવી રહ્યું છે. વણઘાભાઈ લખમણભાઈ પરમાર નામના ટ્રક ડ્રાઈવરે ગામની અંદર ગૌ-સેવા કરતાં કરતાં એક અનોખો સંકલ્પ કરી ગોરસરથી એકાદ કિમી જ દૂર મામા પાગલ આશ્રમ શરૂ કર્યો. કોઈની પાસેથી માંગવું નહી પણ ઈશ્વરી પ્રેરણાથી આપે તો જ લેવું એવી અયાચક વૃતિના આગ્રહી વણઘાભાઈએ આરંભેલ આ સેવાયજ્ઞને અનેક દાનવીરો તરફથી પૃષ્ટિબળ પ્રાપ્ત થવા લાગ્યું. મામા પાગલ આશ્રમમાં અત્યારે 45 થી 50 જેટલા સ્ત્રી પુરુષ પરમહંસો રહે છે. અને અનેક પરમહંસો સાજા થતા પોતાના પરિવારજનો પાસે વ્યવસ્થિત રહેવા લાગ્યા છે. બીજીતરફ મોચા હનુમાન મંદિર છે. મોચા અને ગોરસર આમ તો અલગ ગામ છે, પરંતુ બન્નેની ગ્રામ પંચાયત પણ સંયુક્ત છે. મોચાની વસ્તી તો માંડ બાર થી તેર ઘરની જ છે પણ મોચા હનુમાનની જગ્યાના વિકાસ સંદર્ભે આ ગામ પ્રસિધ્ધ થઈ જવા પામ્યું છે. રાજગીરી નામે એક સંતે આ જગ્યાએ રાતવાસો કરી વર્ષોની પ્રસ્થાપિત માન્યતાને તોડી પાડી અને આ જગ્યાએ કાયમી વસવાટ કરી આ જગ્યાનો વિકાસ પણ કર્યો. યોગાનુયોગ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈ સાધ્વી બનેલી એક ફ્રેન્ચ યુવતી રાજગીરી બાપુના સંપર્કમાં આવી અને ઇ.સ.1980માં તેઓએ આ સ્થળે વસવાટ કર્યો.સંતોષગીરી નામ ધારણ કરી યોગસાધનામાં વ્યસ્ત આ સાધ્વીએ યોગાભ્યાસની સાથે સાથે ગ્રામજનોની સેવાનો યજ્ઞ પણ આરંભ કર્યો. દર્દીઓની પાટા- પીંડી પણ તેઓ જાતે કરી આપે છે. જગ્યા ખાતે એક એમ્બ્યુલન્સ પણ છે. અહીં 24 કલાક ચાલી રહેલા અન્નપુર્ણાલયમાં રોજના સરેરાશ 200 જેટલા વ્યક્તિઓ પ્રસાદ લે છે. ગોરસર ગામે હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટીના દિવસે ગ્રામજનો દાંડીયારાસ અને ગેર નામે વિશિષ્ટ રમત રમે છે જેમાં પ્રતિસ્પર્ધીઓ એક બીજાને નિશાન બનાવીને છાંણાના છૂટા ઘા કરે અને ધૂળ વગેરે ઉડાડે છે. ગામમાં શું સુવિધા છે ? ગોરસર ગામે રોડ રસ્તા ખૂબ સારા છે અને શેરીઓમાં પેવર બ્લોક પાથરેલ છે. સ્ટ્રીટ લાઈટો છે તેમજ પાણીની પૂરતી સુવિધા છે. આ ગામે કેનાલના કામ પણ કરાવવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધા સભર ગામ છે અને આવનારા દિવસોમાં વધુ વિકાસના કામો કરવામાં આવશે. > વાલીબેન વિક્રમભાઇ પરમાર, સરપંચ, ગોરસર ધૂળેટીના દિવસે ગ્રામજનો દાંડીયારાસ અને 'ગેર' નામે વિશિષ્ટ રમત રમે છે
પોરબંદરમાં સૌપ્રથમ વખત લેડી હોસ્પિટલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ થયો હતો.આ સેન્ટરમાં 81 માસ ઘરેલુ હિંસા,જાતીય સતામણી, મિસિગ અને પ્રેમપ્રકરણ સહિત કુલ 1173 કેશ નોંધાયા હતા જેમાંથી 983 કેશનું સમાધાન કરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.સખી વન સેન્ટર ખાતે સરેરાશ દર માસે 14 જેટલા કેશ નોંધાઈ છે જેમાંથી 12 જેટલા કેશનું સુખદ સમાધાન થાય છે. સમગ્ર રાજ્યમાં તેમજ પોરબંદરમાં ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પોરબંદરમાં પણ સૌપ્રથમ વખત પોરબંદરના રૂપાળીબા લેડી હોસ્પિટલ ખાતે વર્ષ 2019માં સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં 81 માસ દરમ્યાન કુલ 1173 કેશ નોંધાયા હતા જેમાં આશ્રય સેવાના 728,તબીબી સેવાના 66,પોલીસ સેવાના 57,કાયદાકીય સેવાના 73 મળી કુલ 1173 કેશનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.પોરબંદરના સખી વન સ્ટોપ સેન્ટરમાં સરેરાશ દર માસે 14 જેટલા કેશ નોંધાઈ છે જેમાંથી સરેરાશ 12 જેટલા કેશનું સમાધાન કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક,કેશવર્કર,પેરા લીગલ/વકીલ,હેલ્પર અને સિક્યોરીટી સહિતના સ્ટાફ ફરજ બનાવે છે. કઈ કઈ સેવા ઉપલબ્ધ છે ?પોરબંદરમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓ માટે સામાજિક સમસ્યામાં પરામર્શ, પોલીસ સહાય, કાયદાકીય સહાય,તબીબી સહાય અને હંગામી ધોરણે આશ્રમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશનનો છેલ્લો સ્ટોપ હોવાથી મિસીંગ કેસ વધુ નોંધાયાપોરબંદર રેલ્વે માર્ગમાં છેલ્લું સ્ટેશન હોવાથી ટ્રેઈન મારફતે ભુલા પડેલ કેશ વધુ નોંધાઈ છે તેમજ માનસિક અસ્થિર લોકો ઘરેથી નીકળી ગયા હોય તેવા કેશ પણ વધુ નોંધાઈ છે.પોરબંદરના વન સખી સ્ટોપ સેન્ટરમાં સૌથી વધુ મિસિગ કેશ જ નોંધાયા છે. જાણો સેન્ટરમાં ક્યાં ક્યાંથી કેસ નોંધાયાપોરબંદરના સખી વન સ્ટોપ સેન્ટરમાં 81 માસ દરમ્યાન સીધા સેન્ટર ખાતે કુલ 292 કેશ,181 મારફતે 576 કેશ,પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરમાંથી 17 કેશ,પોલીસ મારફતે 163 અને અન્ય 125 મળી કુલ 1173 કેશ નોંધાયા છે.
વર્તમાન સમયમાં સરકારી નોકરીઓ જવલ્લે જ મળે તેવી મોંઘીદાટ કોચિંગ વ્યવસ્થાઓ વચ્ચે પણ સવા દશકામાં સાતસોથી પણ વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની કેડી પર પગભર કરીને અમૂલ્ય શિક્ષણ સેવા પૂરી પાડતા જામનગરના અનોખા શિક્ષક આજે હાલાર જ નહીં, ગુજરાતના આનંદકુમાર સમા બની રહયા છે. જામનગરમાં બેન્કની મોભાદાર નોકરી છોડીને ગરીબ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવીને જીવનની કેડી કંડારનારા શિક્ષક જયેશભાઇ વાઘેલા દિવસમાં સત્તર કલાક કાર્યરત રહીને જેને જે આપવું હોય તે ગુરુદક્ષિણારુપે (બંધ કવરમાં) આપે. ન આપી શકે તો પણ ચાલે. એવા નિ:સ્વાર્થભાવ સાથે ગણિત, રિઝનિંગ જેવા અઘરા વિષયને પણ ગમતીલા બનાવીને અનેક નોકરીવાંચ્છુ વિધાર્થીઓ માટે આશાનુ કિરણ બની રહયા છે. જામનગરમાં વર્ષ 2013માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લઇ એનડીસી સંસ્થા કાર્યરત કરીને નોકરીવાંચ્છુ ગરીબ વિદ્યાર્થીઓ માટે પ્રશિક્ષણનો પ્રારંભ પોતાના ઘરે જ કર્યો હતો. જોતા જોતામાં જ હાલારના અનેક વિદ્યાર્થીઓ માટે આ પ્રશિક્ષણ કેન્દ્ર આશાનું કિરણ બની ગયુ. જે બાદમાં જુદા જુદા બે સ્થળે ભાઈઓ, બહેનો માટે અલગ ઓફલાઇન સાથે ડીઝીટલ માધ્યમથી ઓનલાઇન કોચિંગનો પણ પ્રારંભ થયો હતો. વાઈફાઇસજ્જ લાયબ્રેરી, પુસ્તકો અને વ્યક્તિગત માર્ગદર્શન અને લગભગ આ 12 વર્ષની સાફલ્યગાથા થકી અનેક ક્લાર્ક, કોન્સ્ટેબલ, શિક્ષક, આચાર્ય, એએસઆઇ, પીએસઆઇ, ટીડીઓ, પ્રોફેસર, સીડીપીઓ, બેંક ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર સહિતના પદ પર સાતસોથી વધુ વિધાર્થીઓને નોકરી મેળવવા માટે તેઓ સેતુરૂપ બન્યા છે. તદ્દન નિરાભિમાની અને મૃદુ સ્વભાવના શિક્ષક જયેશભાઇ ગુજરાતના આનંદકુમાર તરીકે પણ ખ્યાતિ કેળવી રહયા છે.વિવિધ વિષયોના નિષ્ણાંતોની મદદ સાથે ગરીબ નોકરી ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે કારર્કિદી બનાવવાની જડીબુટ્ટી ગણાતા અનોખા શિક્ષક જયેશભાઇ વાઘેલાના ઓનલાઇન પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ માટે દરેક સરકારી નોકરી માટેના ઉપયોગી વિવિધ વિષયો પરના પોતેજ તૈયાર કરેલા લગભગ 4700થી વધુ સર્જનાત્મક ટૂંકા અને ક્રિએટિવ વિડીયો નિઃશુલ્ક ઉપલબ્ધ કર્યા છે. આ ડીઝીટલ માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ફ્રી માં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે. સહજતાથી ઇન્ટરવ્યુની કરાવી''તી તૈયારીજામનગર સહિતના વિધાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવામાટે વર્ગોમાં મોટી ફિ નહી,માત્ર ઇચ્છાનુસાર આપવાનીવાત.તેઓએ મને સહજતાથી ઇન્ટરવ્યુ માટે તૈયારી કરાવીહતી.ગુજરાતમાં કોઇ તાલુકો નહીહોય જયાં એનડીસીમાં તૈયારીકરેલા વિધાર્થી નોકરી ન કરતો હોય.ઘો.6થી હવે યુપસીએસસીપરીક્ષાઓની તૈયારી કરવા માટે આયોજનને પણ શુભકામના. >-ડેપ્યુટી કલેકટર હિતેશભાઇ જોશી. સતત 4 સરકારી પરીક્ષા પાસ કરી, ઉપયોગી માર્ગદર્શનવર્ષ 2018માં એનડીસી પરીવારમાં જોડાયા બાદ સતત ચાર ગર્વમેન્ટ એકઝામ પાસ કરી હાલ પીએસઆઇ તરીકે ફરજબજાવુ છુ. એનડીસી દ્વારા વિષયવાર પુસ્તકો, મોક ટેસ્ટ ખુબ ઉપયોગી નીવડી.ખાસ કરી મેથ્સ અને રીઝનીંગમાં તોપૂરા માર્કસ જ આવતા.મોક ટેસ્ટની પ્રેકટીશ પણ ખુબ ઉપયોગી સાબિત થઇ.પ્રેમાળ અને માયાળુ સ્વભાવ દ્વારા સરદ્વારા અપાયેલુ માગદર્શન હંમેશા નવી ઉર્જાનુ સંચાર કરતુ હતુ. > પરિક્ષિતસિંહ જાડેજા, પીએસઆઇ આર્થિક નબળા તેજસ્વીછાત્રો માટે પથદર્શકવર્તમાન સમયમા઼ આર્થિક રીતે નબળા પરંતુતેજસ્વી વિધાર્થીઓ માટે પથદર્શક બનનારએનડીસીના સ્થાપક જયેશ વાઘેલા સરનિ:સ્વાર્થભાવે સેવાકિય રીતે બંધ કવરથી જેજ્ઞાનયજ્ઞ ચલાવી રહયા છે.તેનો લાભ મનેપણ મળ્યો હતો.સરકારી નોકરીની નહીવતજાણકારીથી આજે જીપીએસસી પાસ કરીબાળ વિકાસ યોજના અધિકારી સુધી તેઓનુસતત માર્ગદર્શન, દરેક વિષયના વિડીયો,પુસ્તક સેટ, નિ: શુલ્ક લાઇબ્રેરી, મોક ઇન્ટરવ્યુદ્વારા અહી સુધી પહોચેલ છિએ.તેઓ સાચાઅર્થમાં ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુની ભાવનાનેસાર્થક કરનાર છે. > ઉર્વશીબા જાડેજા (બાળવિકાસ અધિકારી વર્ગ-2).
પોરબંદર જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંગે જાહેર કરેલ રાહત પેકેજને લઈને ખેડૂતો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.જેમાં અમુક ખેડૂતોએ જણાવ્યું હતું કે આ પેકેજ ખેડૂતોને આગામી દિવસોમાં શિયાળું પાકના વાવેતર માટે સહાયરૂપ બની રહેશે, રાહતપેકેજના પૈસા થકી ખેડૂત બિયારણ,ખાતરની ખરીદી કરી શકશે તો અમુક ખેડૂતો રાહતપેકેજને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા જાહેર કરેલ પાક સહાય યોગ્ય છે,તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે જેથી ખેડૂતોને ફાયદો થશે,પાક સહાય પેકેજ ખૂબ સારું છે. > સુધાભાઈ ગોઢાણીયા,ખેડૂત જે આપ્યું છે તેને સ્વીકારવું જ પડે ઘેડમાં નુકશાની સારી છે.ખેડૂતને જે નુકશાની થઈ છે તેની સરખામણી સહાય ઓછી છે.હાલ મગફળીમાં વિધે 15 થી 16 હજાર ખર્ચે છે તેની સામે માત્ર 3500 રૂપિયાની જાહેરાત કરી છે.પણ જે આપ્યું છે તેને સ્વીકારવું જ પડે. >ઠેબાભાઈ વાસણ,ખેડૂત જાહેર કરાયેલા રાહત પેકેજની સરાહના કરીએ છીએ કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકોમાં થયેલા નુકસાન થયું હતું.ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજની સરાહના કરીએ છીએ,શિયાળુ પાક લેવામાં, બિયારણ અને દવાઓ ખરીદવામાં રાહત મળી રહેશે.> કેશુભાઈ બોખીરિયા,ખેડૂત બિયારણ, દવા ખરીદવા માટે રકમ ઉપયોગી ખેડૂતને થયેલ પાક નુકસાન બાદ સરકાર દ્વારા જાહેર કરેલ આ પેકેજને ''અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું અને ઐતિહાસિક છે.આ માતબર સહાયથી રાજ્યભરના ખેડૂતોને ઘણી મોટી રાહત મળશે, જેઓ કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાનનો સામનો કરી રહ્યા છે.રૂપિયા 10,000 કરોડનું આ પેકેજ અત્યાર સુધીમાં અન્ય કોઈ સરકારે જાહેર નથી કર્યું. રકમનો ઉપયોગ ખેડૂતો શિયાળુ પાક માટે બિયારણ, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કરી શકશે. > દેવશીભાઇ રાતડીયા,ખેડૂત
નવો વળાંક:હીરાપન્ના કોમ્પ્લેક્ષના 12 ફ્લેટોના સમારકામ માટે સીલ ખોલવામાં આવ્યા
શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સને જર્જરીત હોવાથી અગાઉ નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા હતા જે અંગે ફ્લેટધારકો હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે હાઈકોર્ટએ આ બિલ્ડીંગના કેટલાક ફ્લેટ ખોલવા હુકમ કરતા 12 જેટલા ફ્લેટનું સીલ ખોલ્યું હતું. પોરબંદર શહેરમાં હિરા પન્ના કોમ્પ્લેક્ષમાં આવેલ છે. આ બિલ્ડીંગ રહેણાંક ફ્લેટ તથા કોમર્શિયલ શોપ ધરાવતું કુલ 65 યુનિટનું બિલ્ડીંગ છે. જેની બાંધકામની પરવાનગી સને 1999 માં મેળવીને બાંધકામ કરવામાં આવેલ હતું, પરંતુ આ બિલ્ડીંગની ખુબજ જર્જરીત હાલતમાં હોવાથી અને ગમે ત્યારે બિલ્ડીંગ પડવાથી અકસ્માતનો ભય હોવાથી અને લોકોનાં જાનનાં જોખમની બાબત ધ્યાને રાખીને બિલ્ડીંગ રીપરીંગ કરાવવા માટે નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. પરંતુ બિલ્ડીંગની રીપેરીંગ કામગીરી હાથ ન ધરતાં અને આ બિલ્ડીંગ વધુ જર્જરિત થઈ જતાં કોઈ અકસ્માતનો ભોગ ન બને તેથી જાહેર હિતાર્થે આ બિલ્ડીંગને ખાલી કરાવીને સીલ કરાવવામાં આવેલ છે. જે અંગે ફ્લેટધારકો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.સી.એ.નં.14223/2 025 થી દાખલ કરીને રીપેરીંગ બાબતે દાદ માંગવામાં આવેલ જે અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીપેરીંગ કરવા માટે સીલ ખોલી આપવા આદેશ કરવામાં આવેલ છે.જેથી 12 જેટલા ફ્લેટધારકોને ફ્લેટ રીપેરીંગ કરવા માટે સીલ ખોલી આપવામાં આવ્યા હતા.
ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા, હવે પેટ્રોલપંપના સંચાલકો અને પેટ્રોલપંપ એસોસિએશન જ સરકાર સામે પડ્યું છે. આ પાછળનું કારણ પણ ગજબનું છે! સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડિલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે. સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો, એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે. જેને લઈને બે મોટા વિવાદો ઊભા થયા હતા. ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી હતી. આટલું જ નહીં, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂના વાહનોને નુકસાન કરતું હોવાના પણ ઘણા દાવા થયા હતા. જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ BS6 પ્રકારના વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યા છે. પરંતુ BS6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલા વાહનોમાં જ આવે છે. જ્યારે આ પહેલા બનેલા વાહનોમાં E20 ફ્યુઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે.આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે. આ વાતને લઈને પણ વાહનચાલકોમાં રોષ છે. અત્યાર સુધી વાહનચાલકોને થયેલી તકલીફ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરંતુ આ વખતે પેટ્રોલપંપ એસોસિએશને જ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. સાઉથ ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશને લાખોનું નુકસાન થતું હોવાનો દાવો કરીને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી આ પ્રકારનું ફ્યુઅલ ચોમાસાના ચાર મહિના બંધ કરવાની માગણી કરી છે. ઇથેનોલવાળુ પેટ્રોલ પાણીના સંપર્કમાં આવે તો શું થાય? આ પ્રયોગની મદદથી સમજો. આ પત્ર સામે આવ્યા બાદ અમે દક્ષિણ ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ સુરેશ દેસાઈ અને પેટ્રોલપંપ સંચાલક નિશીથ દેસાઈ સાથે વાતચીત કરી હતી. સુરેશ દેસાઈએ કહ્યું, વાતાવરણમાં જરા પણ ભેજ વધી જાય અથવા પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયા થઈ છૂટા પડી જાય છે. આ સૌથી મોટી સમસ્યા છે જ્યારે આવું થાય છે ત્યારે ઇથેનોલનું વજન પેટ્રોલ કરતાં વધુ હોવાથી ઇથેનોલ પેટ્રોલની ટાંકીમાં નીચે બેસી જાય છે. પેટ્રોલ પંપમાંથી પંપ મારફતે પેટ્રોલ ખેંચવામાં આવે ત્યારે મોટેભાગે નીચેથી ખેંચાય છે. એટલે ગ્રાહકને ઇથેનોલ વધુ અને પેટ્રોલ ઓછું મળે છે. જેને કારણે ગ્રાહકના વાહનમાં તકલીફ પડે છે. જ્યારે મિકેનિકને બતાવે ત્યારે પેટ્રોલની ટાંકીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાની વાત કરે છે. ત્યારે તે ગ્રાહક ફરિયાદ લઈને અમારી પાસે આવે છે. આ સમસ્યાના નિવારણ તરફ ધ્યાન દોરતા સુરેશભાઈએ કહ્યું, પેટ્રોલ પંપની કંપનીઓએ અમને અલગથી બે ટાંકીઓ આપવી જોઈએ અથવા તો સરકારે આ કંપનીઓ સાથે સંકલન કરીને આ મુદ્દે કોઈ નિર્ણય લેવો જોઈએ. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ વિસ્તારોના પેટ્રોલ પંપમાં ઇથેનોલ અલગ થઈ જવાની સમસ્યાઓ ઊભી થાય છે. એટલે સરકારે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં E20 ફ્યુઅલ બંધ કરવું જોઈએ. દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ પેટ્રોલિયમ કંપનીઓને આદેશ કરીને યોગ્ય સંચાલન કરાવવું જોઈએ. તેઓ રોષ ઠાલવતા કહે છે પેટ્રોલ કંપનીઓ કોઈ ખર્ચ કરવા માગતી નથી. તેમને બે અલગ-અલગ પ્રકારની ટાંકીઓની વ્યવસ્થા પણ કરવી જોઈએ. અને જો કોઈને ઇથેનોલ મિશ્રણ વગરનું પેટ્રોલ જોઈતું હોય તો ચોક્કસપણે મળવું જોઈએ અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અને ઇથેનોલ મિશ્રણ વગરના પેટ્રોલના બંનેની ટાંકીઓ અલગ કરવી જોઈએ. સુરેશ દેસાઈએ કહ્યું, પ્રદૂષણ ઓછું કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચવાનો નિર્ણય લીધો છે. આ સારી બાબત છે. પરંતુ નીતિ આયોગ મુજબ પેટ્રોલમાં 10% જ ઇથેનોલ મિશ્રણ કરવાની પરવાનગી છે. છતાં પણ 20% કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં પેટ્રોલમાં 30% ઇથેનોલ ભેળવવાની વાત ચાલી રહી છે. પરંતુ જો આવું થશે તો વાહનોમાં પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોને તો નુકસાન છે જ, એની સાથે સાથે પેટ્રોલ પંપના ડીલરોને પણ લાખો રૂપિયાનું નુકસાન થશે. સુરતમાં પેટ્રોલપંપ ચલાવતા નિશીથ દેસાઈએ પણ તેમને ઇથેનોલના કારણે પડતી મુશ્કેલીની વાત કરી હતી. તેઓ ઇથેનોલ અને પેટ્રોલ અલગ જવાની પ્રક્રિયાને સમજાવતા કહે છે કે અમને ખાસ કરીને સમસ્યા ચોમાસામાં આવે છે. જ્યારે પણ પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી જાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા કરીને ઇથેનોલ અને પેટ્રોલને અલગ કરી દે છે. પેટ્રોલનું વજન ઓછું હોવાથી તે ઉપર રહે છે, જ્યારે ઇથેનોલ નીચે બેસી જાય છે. પેટ્રોલ પંપના માલિકોના નુકસાન વિશે તેઓ કહે છે કે દરેક પેટ્રોલ પંપ પર 20 હજાર લિટર પેટ્રોલની ટાંકી હોય છે. આ ટાંકીમાં 2 હજારથી લઈને 20 હજાર લિટર સુધી પેટ્રોલ ભરેલું હોય છે. જ્યારે પેટ્રોલ પંપની આ ટાંકીમાં પાણી ઘૂસી જાય, ત્યારે તે કુલ માત્રાના 20% ઇથેનોલને છૂટું પાડી દે છે. તે પછી વેચી શકાય તેમ હોતું નથી. એટલે વેસ્ટ થઈ જાય છે અને તેને અંતે ફેંકી દેવાનો વારો આવે છે, જે પેટ્રોલ પંપ માલિકોને પોસાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, પેટ્રોલ પંપની કંપનીઓ સમય સાથે પેટ્રોલ પંપની ટાંકીની હાલત અને તેની પાઇપલાઇનની હાલત ચેક કરતી હોતી નથી. પરંતુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ લાવ્યા પછી આ અંગે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. વારંવાર પેટ્રોલ પંપની ટાંકીની હાલત ચેક કરવી જોઈએ અને પાઇપલાઇનને પણ વારંવાર ચેક કરતું રહેવું જોઈએ. ડીલર આ દરેક બાબતનું ધ્યાન રાખી શકે એટલો સક્ષમ હોતો નથી એટલે પેટ્રોલની કંપનીઓએ જ આમાં આગળ આવવું જોઈએ. અગાઉ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તેની કિંમત અને વાહનમાં થતા નુકસાનને લઈને વિવાદમાં આવી ચૂક્યું હતું. હવે પેટ્રોલ પંપ માલિકોએ પણ લાખોનું નુકસાન થતું હોવાની ફરિયાદ કરી છે, ત્યારે આ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને સરકાર કોઈ પગલાં લેશે કે નહીં તે જોવાનું મહત્વનું રહેશે.
સન્માન:વડિયામાં હોમગાર્ડ કચેરીનું લોકાર્પણ, નિવૃત જવાનોને સન્માનિત કરાયા
અમરેલી| વડીયામાં તાલુકા હોમગાર્ડ કચેરી રાજ્ય ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા હોમગાર્ડના અધિકારીઓ અને જવાનોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અહીં નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડએ સુરક્ષા અને સલામતી માટે દિવસ -રાત કાર્યરત હોય છે. વિકટ અને આપત્તિની સ્થિતિમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે હોમગાર્ડના જવાનો નિષ્ઠાથી ફરજ બજાવે છે. આ પ્રસંગે 27 હોમગાર્ડ જવાનો તેમજ તેમના પરિવારને તેમના ત્યાગ તથા ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ તેમણે શુભકામના પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભે હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતાએ રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. 8 લાખના ખર્ચે રિનોવેટ થયેલી નવિન કચેરી હોમગાર્ડ જવાનોની વહીવટી કામગીરી સહિતની સુવિધામાં ઉમેરો કરશે.
લોખંડની પાઈપ વડે માર મારતા બે લોકોને ઈજા:રાત્રે કપડા ધોવા મુદ્દે બે પાડોશી વચ્ચે બઘડાટી
લાઠીના ભટ્ટવદરમાં સામાન્ય બાબતે બે પાડોશી વચ્ચે બઘડાટી બોલી હતી. અહીં રાતે કપડા ધોવા મુદ્દે ગાળો આપી યુવક પર પાડોશીએ હુમલો કર્યો હતો. માર મારતા બે લોકોને ઈજા પહોંચી હતી. ભટ્ટવદરમાં રહેતા દિલીપભાઈ બાવજીભાઈ સોલંકી (ઉ.વ.29)એ તેના પાડોશી હિતેષ નરશીભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 7 નવેમ્બરના રોજ રાતે સાડા દશેક વાગ્યે તેના પત્નિ પાર્વતીબેન કપડા ધોઈ રહ્યા હતા. ત્યારે રાતે કપડા ધોવા મુદ્દે હિતેષે પાર્વતીબેનને ગાળો આપી હતી. હિતેષને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત વિજપોલ સાથે દિલીપભાઈ સોલંકીને દબાવી દીધા હતા. આ ઘટનામાં વચ્ચે પડેલા અરજણભાઈને હિતેષે માથામાં લોખંડની પાઈપ મારી હતી. અહીં અરજણભાઈ અને દિલીપભાઈને ઈજા પહોંચી હતી. તેમજ હિતેષે મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ વી.આર.ડાભી તપાસ ચલાવી રહ્યા છે. આમ, નજીવી બાબતે બઘડાટી બોલતા મામલતો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
સિદ્ધિ:સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં સિદ્ધિ મેળવી
સાવરકુંડલા તાલુકા કક્ષાની અલગ અલગ સ્પર્ધાઓમાં સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના વડા ભગવત પ્રસાદદાસ અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસ, કોઠારી અક્ષરમુકતદાસ સ્વામીના આશીર્વાદથી વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં અંડર11 વર્ષની ચેસ સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ નંબરે મંત્ર પ્રકાશભાઈ પટેલ, અંડર 17 વર્ષમાં હર્ષલ અરવિંદભાઈ ચોટલિયા જ્યારે કોલેજ રોડ ગુરૂકુળમાં અંડર 11 વર્ષ ચેસ બહેનોની કેટેગરીમાં ત્રિવેદી ત્રિશા પ્રથમ નંબરે, જાડેજા ધાર્મિબા દ્વિતીયે, અને ખસિયા જીયા તૃતીય નંબર મેળવ્યો હતો. અંડર 11 વર્ષ ભાઈઓમાં જોશી મિહિરે દ્વિતીય નંબરે અને દેસાઈ હાર્દ તૃતીય નંબરે મેળવ્યો હતો. આ ઉપરાંત અંડર 14 વર્ષ કેટેગરીમાં રાવલ વિરાજ અને અંડર 17 વર્ષ કેટેગરીમાં ત્રિવેદી અનામિકાએ પ્રથમ સ્થાન મેળવી ગુરૂકુળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું. જ્યારે વોલીબોલ સ્પર્ધામાં અંડર 14 તથા અંડર 17 ભાઈઓમાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
સાવરકુંડલામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ બીનાબેન જોશીએ તેમની 9મી યોગ બેચના યોગ ટ્રેનર્સ બહેનોને મોટાઝીંઝુડા ગામ ખાતે યોગ ટ્રેનર્સના સર્ટીફીકેટ વિતરણ કર્યા હતા. જેમાં મોટા ઝીંઝુડાના જાગૃતિબેન ગૌસ્વામી, ભૂમિકાબેન સૂચક, પલ્લવીબેન રવાણી, સોનલબેન રવાણી, હર્ષાબેન રવાણી, મોનાબેન તેલી, સોનલબેન બનઝારા, ભાવિકાબેન દાવડા અને પારૂલબેન ગળથિયાને યોગ ટ્રેનર્સના પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી બીનાબેન જોશી દ્વારા તેમની નિઃશુલ્ક બેચમાં યોગ, એક્યુપ્રેસર, મુદ્રા, આસન, પ્રાણાયામ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમની 10મી નિઃશુલ્ક બેચનું પણ રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયું છે.
મંદિરમાં ચોરી:વડિયાના બાંભણીયા ગામના ખોડિયાર માતાજીના મંદિરમાંથી દાન પેટીની ચોરી
વડીયાના બાંભણીયામાં તસ્કરે ખોડિયાર માતાજીના મંદિરને નીચાન બનાવ્યું હતું. અહીં7 નવેમ્બરની રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ચોરી કરી હતી. જો કે આ દાનપેટી લાખાપાદર જવાના રસ્તા પરથી મળી આવી હતી. બાંભણીયા ગામના રમેશભાઈ ગોરધનભાઈ ગજેરા (ઉ.વ.64)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 7 નવેમ્બરની રાતે અજાણ્યા શખ્સે ખોડિયાર માતાજીના મંદિરમાં દિવાલ ટપી પ્રવેશ કર્યો હતો. મંદિરમાં લોખંડની ગ્રીલના તાળા તથા નકુચા તોડી મુખ્ય દરવાજા પાસે આવેલી દાનેપેટીની ચોરી કરી હતી. દાનપેટીની શોધખોળ બાદ લાખાપાદરના રોડ પરથી મળી આવી હતી. અજાણ્યા શખ્સે દાનપેટીમાંથી રોકડ રકમ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોખંડની દાનપેટી તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને તસ્કર લાખાપાદરના રસ્તા પર જ દાનપેટી મુકી રફુચક્કર થયો હતો. આ આ અંગે વડીયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાતા એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં આજે 5 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની પ્રતિવર્ષ ટેકાના ભાવે કૃષિ જણશોની ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં રવિવારે બાબરા, બગસરા, ધારી, રાજુલા અને સાવરકુંડલા કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થયો હતો. અમરેલી જિલ્લામાં 92118 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ધારીમાં ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે મંડળીના સંચાલક ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રતિ મણ ભાવ રૂપિયા 1452 જાહેર કરવામાં આવ્યો છે. એક ખેડૂત પાસેથી 125 મણની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં 92118 ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવની ખરીદીની જાણ થતા પ્રથમ દિવસે આવેલા ખેડૂતોને ગ્રેડિંગ કરી અને શુભ મુહૂર્તમાં મગફળી ખરીદવામાં આવી છે. આ પ્રસંગે ધારી પ્રાંત અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ ગુણવત્તા યુક્ત મગફળીની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે જતી ખરીદી સંપૂર્ણપણે પારદર્શક માહોલમાં થાય અને ખેડૂતોને પૂરતો લાભ મળે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભરાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલના હસ્તે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારીમંડળીએ ગત વર્ષે 56 કરોડની મગફળી ખરીદી હતીખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ગત વર્ષે રૂપિયા 56 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના જુદા જુદા કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. જિલ્લામાં ક્યાતાલુકામાં મગફળીનું રજીસ્ટ્રેશન
રિટાયરમેન્ટ પછી ઘણા વરિષ્ઠ નાગરિકો પાસે લાખો રૂપિયાનું પોતાનું ઘર તો હોય છે, પણ રોજિંદા ખર્ચ કે પછી અચાનક આવતી બીમારી માટે હાથ પર રોકડા પૈસા નથી હોતા. જો તમારી પણ આ જ પરિસ્થિતિ છે, તો ચિંતા કરશો નહીં. તમારું પોતાનું ઘર જ તમને દર મહિને પેન્શન અપાવી શકે છે. આ શક્ય બને છે 'રિવર્સ મોર્ગેજ લોન' (Reverse Mortgage Loan) થી. આ સ્કીમ સાદી હોમ લોન કરતાં બિલકુલ ઊલટી છે. હોમ લોનમાં તમે ઘર ખરીદવા માટે બેંકને EMI ચૂકવો છો, જ્યારે રિવર્સ મોર્ગેજમાં બેંક તમારા જ ઘર સામે તમને દર મહિને પૈસા આપે છે, અને તમારે કોઈ EMI ભરવાનો નથી. આ લોન કોને અને ક્યારે મળી શકે છે? આ સ્કીમ ખાસ એવા વરિષ્ઠ નાગરિકો માટે છે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે. જો તમે સંયુક્ત નામે લોન લો છો, તો તમારા જીવનસાથીની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષ હોવી જરૂરી છે. સૌથી મુખ્ય શરત એ છે કે ઘર તમારા નામે હોવું જોઈએ અને તેના પર બીજી કોઈ લોન ચાલુ ન હોવી જોઈએ, તેમજ કોઈ કાયદાકીય વિવાદ ન હોવો જોઈએ. જે વડીલો પાસે આવકનો કોઈ નિયમિત સ્ત્રોત નથી અથવા જેઓ રિટાયરમેન્ટ પછી સન્માનભેર જીવવા માગે છે, તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. પૈસા કેવી રીતે અને કેટલા મળે છે? બેંક સૌથી પહેલા તમારા ઘરનું મૂલ્યાંકન (Valuation) કરે છે. આ મૂલ્યાંકનના આધારે, તમને ઘરની કિંમતના 60% સુધીની રકમ લોન તરીકે મળી શકે છે. આ પૈસા તમને બે રીતે મળી શકે છે: શું બેંક તમને ઘરમાંથી કાઢી મૂકશે? વડીલોના મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે જો લોન લીધી તો શું બેંક ઘર ખાલી કરાવી દેશે? જવાબ છે- ના, બિલકુલ નહીં. રિવર્સ મોર્ગેજની સૌથી મોટી ખાસિયત એ જ છે કે 15 કે 20 વર્ષનો જે સમયગાળો છે, તે માત્ર બેંક પાસેથી પૈસા મેળવવાનો સમય છે. એ સમયગાળો પૂરો થયા પછી, બેંક તમને પૈસા આપવાનું બંધ કરી દેશે, પરંતુ તમે અને તમારા જીવનસાથી, બંને આખી જિંદગી એ જ ઘરમાં રહી શકો છો. બેંક તમને ઘરમાંથી કાઢી ન શકે. તો પછી લોન ચૂકવવાની કોણે? આ લોનમાં તમારે જીવતા જીવ એક રૂપિયો કે કોઈ EMI ચૂકવવાનો નથી. રિવર્સ મોર્ગેજ લેનાર મુખ્ય વ્યક્તિ અને તેના જીવનસાથી (પત્ની/પતિ), બંનેના અવસાન પછી જ આ લોન ચૂકવવાની જવાબદારી ઊભી થાય છે. આ લોન તેમના વારસદારોએ ચૂકવવાની હોય છે. વારસદારો પાસે ઘર પાછું મેળવવાના બે રસ્તા હોય છે: સૌથી મોટી સ્માર્ટ ટ્રીક અહીં સૌથી મોટો સેફ્ટી નિયમ એ છે કે, માની લો કે લોનનું દેવું (મૂળ + વ્યાજ) ઘરની કિંમત કરતાં પણ વધી ગયું, તો પણ બેંક વારસદારની બીજી કોઈ અંગત મિલકત (તેમનો પગાર, તેમનું પોતાનું ઘર કે જમીન) ને હાથ પણ લગાવી શકતી નથી. બેંકની વસૂલાત ફક્ત એ જ ઘર પૂરતી મર્યાદિત રહેશે જે રિવર્સ મોર્ગેજ પર હતું. આનાથી વારસદારો પર કોઈ આર્થિક બોજ આવતો નથી. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. તમારા ફાયદાના વીડિયો જોવા નીચેના ફોટો પર ક્લિક કરો
દીકરી હાંફળી ફાંફળી બનીને ઘરમાં બધાને કહે છે, રાત થઈ ગઈ છે પણ અબ્બુજાન હજી સુધી આવ્યા નથી. તે ફોન ઉપાડતા નથી. મને ચિંતા થાય છે. એ ક્યાં હશે? પરિવારજનો કહે છે, ચિંતા ન કર... એ હશે ત્યાંથી આવી જશે... આડોશ-પાડોશના લોકો અને ખેતરના શેઢા પાડોશી લોકો તેને શોધવામાં લાગી ગયા. અંતે એક કડી મળી, ખેતરના કૂવા પાસે... ખેતરેથી પાડોશીઓએ ઘરે ફોન કર્યો... જલ્દી આવો... ગફારભાઈ તો... આટલું બોલીને પાડોશી આગળ કાંઈ બોલી શકતા નથી. ઘરના લોકોની ચિંતા વધી. થોડીવાર પછી ગફારભાઈનો મૃતદેહ તેમના જ ખેતરના કૂવામાંથી મળી આવ્યો.... વાત આખી એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામમાં 45 વર્ષના ગફારભાઈ મુસાભાઈ ઉનડ નામના ખેડૂતે 3 નવેમ્બરે તેમના ખેતરના કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી. આ આત્મહત્યાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂત જગતમાં ચકચાર મચી ગઈ. ગફારભાઈ કમર પર 3 ફૂટનો વીજપોલ બાંધીને કૂવામાં કૂદી ગયા ને આત્મહત્યા કરી હતી. તેમના આ પગલાથી તેમનો આખો પરિવાર નોંધારો બની ગયો છે. હાલમાં રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થયું છે. મોટાભાગના બધા ખેડૂતો દેવાદાર બની ગયા છે. સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ પણ જાહેર કર્યું છે. જેમાં 16 હજાર ગામના 13 લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22 હજાર વળતર ચૂકવાશે પરંતુ આ વળતર મળે ને ખેડૂત દેવાંમાંથી ક્યારે બહાર આવે તે કહી શકાય એવું નથી. કારણ કે દરેક ખેડૂતની વિકટ સ્થિતિ અલગ અલગ છે એટલે બધા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જેમાંથી ગીર સોમનાથના ગફારભાઈ નામના મુસ્લિમ ખેડૂતે આત્મહત્યા કરી લીધી. ભાસ્કરની ટીમ આ ખેડૂતની અને તેમના પરિવારની વેદના જાણવા ગ્રાઉન્ડ પર ઉના તાલુકાના રેવદ ગામમાં પહોંચી હતી. ચોમાસાની સિઝન પૂરી થયા બાદ પણ દિવાળી પછી પડેલા કમોસમી વરસાદે રાજ્યભરના ખેડૂતોને ચોધાર આંસુએ રડાવ્યા. જેમાંથી ગફારભાઈ મુસાભાઈ ઉનડ નામના ખેડૂત એટલા તણાવમાં આવી ગયા કે તેમણે આત્મહત્યા કરી લીધી. ભાસ્કરની ટીમ તેમના રેવદ ગામે પહોંચી. આ ગામમાં અંદાજે 1100 જેટલી વસ્તી છે, જેમાં 700 જેટલા હિન્દુ, 400 જેટલા મુસ્લિમ લોકો વર્ષોથી હળીમળીને રહે છે. ગફારભાઈ મુસાભાઈ ઉનડ નામના ખેડૂત વર્ષોથી તેના ગામમાં મગફળીને ખેતી કરે છે. તેમના ઘરમાં તેમના એક વૃદ્ધ માતા, તેમના પત્ની છે. તેમના દીકરાના લગ્ન થઈ ગયા છે અને તે નાની મોટી મજૂરી કરે છે. આ સિવાય તેમના ત્રણ દીકરીઓ છે. આ વખતે ગફારભાઈએ તેમની 9 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં તેમને ખાતર, બિયારણ, ટ્રેકટરનું ભાડું, ચાર મહિનાની મજૂરીને બધું ગણીને એક લાખથી સવા લાખ જેટલો ખર્ચો થયો હતો અને સામે પાક ધિરાણની 3 લાખ 72 હજાર જેટલી લોન બાકી બોલતી હતી. મગફળીના પાક બાદ આવતો રવિ પાક પણ કરવાનો હતો અને તેમાંથી પણ થોડા રુપિયા મળવાની આશા હતી. આ સિવાય સામે આવતા મહિનામાં તેમની બે દીકરીના લગ્ન કરવાના હતા. તેમની સગાઈ તો થઈ ગઈ હતી. પરંતુ અંતિમ ઘડીએ જ્યારે મગફળી ખેતરમાંથી કાઢવાની હતી તેવા ટાણે જ કમોસમી વરસાદ શરુ થયો. જે સતત એક અઠવાડીયા સુધી પડ્યો. જેમાં તેમનો અને આસપાસના તમામ ખેતરોનો તમામ પાક નાશ પામ્યો. ગફારભાઈ મનથી હારી ગયા. કમોસમી વરસાદ વચ્ચે તેમના મનમાં ચિંતાના વાદળો ઘેરાયાં કે દીકરી લગ્નનો ખર્ચો, દેવું પુરું કરવું, ઘર કેમનું ચલાવવું... આ બધું કેમ પૂરું થશે? આ બધા પ્રશ્નો તેમને સતાવવા લાગ્યા. અંતે તેમણે તેમના જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું. આ વખતે ગફારભાઈ મગફળીના પાકમાંથી 3 થી 4 લાખ જેટલી રકમ મળવાની આશા હતી. ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે તેમની દીકરીઓ કે તેમના દીકરા કોઈપણ વાત કરવાની સ્થિતિમાં નહોતા એટલે અમે તેમના અન્ય સ્વજનો સાથે વાત કરીને માહિતી મેળવી. ગફારભાઈના મામા એસ.એન.સમા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ગફારભાઈ અમારા ભાણેજ થાય છે. 3 નવેમ્બરે જ્યારે બનાવ બન્યો ત્યારે સાંજે હું ઘરે આવ્યો ત્યારે તેમની દીકરી મારી પાસે આવી અને કહ્યું કે, મારા પપ્પા નીરણ લેવા ગયા છે પરંતુ હજી સુધી આવ્યા નથી. એટલે મેં તેમને ફોન કર્યો પરંતુ ફોન ઉપાડ્યો નહીં. આસપાસ તપાસ કરી પરંતુ મળ્યા નહીં. એ દરમિયાન તેમની ગફારભાઈની દીકરીઓએ તેમના પાડોશીઓને કહ્યું કે, મારા પપ્પા હજી સુધી ઘરે આવ્યા નથી તો તમે જરા ખેતરે જઈને જુઓને કારણ કે, તેમના પાડોશીઓનું ખેતર અને તેમનું ખેતર નજીક છે. એટલે તેમના પડોશના બે છોકરા તેમની વાડીએ તપાસ કરવા ગયા. તેમાંથી એક છોકરાનો મારી પર ફોન આવ્યો અને કહ્યું કે, દાદા તમે તાત્કાલિક અહીં વાડી પર આવો. અહીં ખેતરમાં કૂવાની પાસે ગફાર કાકાનો ફોન પડ્યો છે, કપડાં પડ્યા છે, બુટ પડ્યા છે પણ ગફાર કાકા ક્યાંય દેખાતા નથી. પછી હું તાત્કાલિક તેમની વાડીએ પહોંચી ગયો. એટલામાં મેં ગામના સરપંચને પણ ફોન કરી દીધો હતો. ગામના સરપંચ પણ આવી પહોંચ્યા હતા. વાડીમાં ખેતરમાં આસપાસ ઘણી તપાસ કરી પરંતુ તેઓ કંઈ મળ્યા નહીં એટલે અમને એવો વિચાર આવ્યો કે, કદાચ તેમણે કૂવામાં કૂદીને આત્મહત્યાનું પગલું ભર્યું હોઈ શકે. કારણ કે, વરસાદ શરુ થયો ત્યારથી ગફારભાઈ ડિપ્રેશનમાં હતા જ.. અમે ખેતરમાં વાડી પાસે કૂવાએ ગયા. અહીં પહોંચવા માટે બધા કાદવ કીચડમાંથી પસાર થયા હતા. કારણ કે, સતત વરસાદ પડતાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. અધિકારીઓ પણ ઘૂંટણ સમા પાણીમાં ચાલી કૂવા પાસે પહોંચ્યા હતા. કૂવા પાસે પહોંચતા અમે કૂવામાંથી પંપથી પાણી કાઢવાનું શરું કર્યું. 3-4 કલાકની મહેનતથી 20 ફૂટ જેટલું પાણી કાઢ્યા બાદ ગામના સ્થાનિક તરવૈયાએ કૂવામાં ડૂબકી મારીને જોયું. કૂવામાંથી દોરડાંથી ખેંચીને ગફારભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. તેમણે તેમના શરીર પર 3 ફૂટ જેટલો ઈલેક્ટ્રીક વીજપોલ બાંધેલો હતો. કારણ કે, તેઓ પણ સારા એવા તરવૈયા હતા એટલે તેઓ તરીને બહાર ન આવી જાય, બચી ન જાય એટલે ગફારભાઈએ તેમના શરીર પર વીજપોલ બાંધ્યો ને કૂવામાં કૂદી ગયા. કૂવામાંથી તેમનો મૃતદેહ કાઢવામાં લગભગ 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. અમને સ્થાનિક પ્રશાસને ખૂબ મદદ કરી, ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ, મામલતદાર, TDO, નગરપાલિકા, PGVCL, ફાયર બ્રિગેડ સહિત તમામ વિભાગના લોકો અધિકારીઓ દોડી આવ્યા અને અમને છેક સુધી મદદ કરી. ઘરના મોભી જતા રહેતા હાલમાં ઘરમાં આજીવિકાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. કારણ કે, તેમના ઘરમાં તેમની ઉપર ઘર ચાલતું હતું તેમનો દીકરો તો નાની મોટી મજૂરી કરે છે અને ઘરમાં ત્રણ દીકરીઓ, ગફારભાઈનાં પત્ની અને તેમનાં માતા પણ છે. એસ.એન.સમા કહે છે, સરકાર સમક્ષ અમારી માંગ છે કે, ગફારભાઈના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે. એસ.એન.સમા વાત આગળ વધારતાં કહે છે કે, ગયા શનિવારે 1 નવેમ્બરે ગફારભાઈ ગામમાં ખેતરે જતાં રસ્તામાં મને મળ્યા હતા. તેમના હાથમાં ખેતીનો સામાન પાવડો ને બધું હતું. ત્યારે મારી વાત થઈ તો ગફારભાઈ કહ્યું કે, આવતીકાલે મગફળીના પાથરા કાઢવાના છે એટલે થ્રેશર આવવાનું છે. થ્રેશરથી ખેતરની સફાઈ થાય છે. મજૂરો પણ હાજર છે એટલે એક-બે દિવસમાં મગફળી પણ તૈયાર થઈ જશે. આ વખતે પશુ માટેના નીરણની પણ કોઈ ચિંતા નથી. કુદરતી રીતે એ જ દિવસે સાંજે વરસાદ શરુ થયો. જે સતત અઠવાડિયાં સુધી ચાલ્યો. ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો, ખેતરોમાં પાણી ભરાઈ ગયાં. પશુ માટેનો ઘાસચારો પણ તણાઈ ગયો. એટલે ગફારભાઈ ટેન્શનમાં આવી ગયા. છેલ્લે 3 નવેમ્બરે મેં ગફારભાઈને ફોન કરીને કહ્યું કે, હું ગીર ગઢડા જાઉં છું. ચાલો મારી સાથે આવવું હોય તો... ત્યારે ગફારભાઈએ મને કહ્યું કે, કંઈ અરજન્ટ કામ હોય તો જરુરથી આવી જાત પરંતુ પશુ માટેનો ખોરાક નીરણ જરાય નથી અને મારી ગાય ભૂખી છે. શેઢેથી વાળીને મારે બધું ભેગું કરવું પડે છે એટલે હું નહિ આવી શકું. છતાં કામ હોય તો આવું.. તેવી વાત કરી પરંતુ મેં ના પાડી કારણ કે, તેઓ પાક અને નીરણને લઈને ચિંતામાં હતા. પાક તો સાવ નિષ્ફળ ગયો જ હતો પરંતુ પશુનું નિરણ પણ નહોતું. ત્યારે મેં ગફારભાઈને આશ્વાસન આપ્યું હતું કે, આ તો કુદરતી વિઘ્ન છે. આમાં આપણે શું કરી શકીએ. આ વખતે વરસાદનો માર આખા જગતમાં છે. એમાં પણ આપણા કોસ્ટલ એરિયામાં વધારે વરસાદ છે. ગફારભાઈએ 9 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ તમામ જમીનમાં પાક તૈયાર થઈ ગયો હતો. તૈયાર થયેલો તમામ પાક નિષ્ફળ જાય એટલે ખેડૂતનો તો જીવ જતો રહે. મેં સલાહ આપતાં તેમને કહ્યું હતું કે, કોઈની પાસે સહાય લઈ લેવાય પરંતુ ગફારભાઈ વધારે લાગણીશીલ અને સ્વમાની હતા. ગફારભાઈ કહેતા કે વારંવાર કોની પાસેથી રુપિયા લેવા? કારણ કે, પહેલાથી જ 3 લાખ 72 હજારનું દેવું છે જ. તો પછી નવું દેવું હવે ક્યાંથી ઊભું કરીએ.અને પાછું આ તો કંઈ 2-4 દિવસની વાત નથી આખું વર્ષ કેમ કાઢવું તે મુંઝવણ ભર્યું છે. આ વખતે આખા સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું ઉત્પાદન થવાની શક્યતા હતી. મોટાભાગે તમામ પાક તૈયાર થઈ ગયો હતો. એસ.એન.સમા કહે છે, ગફારભાઈને ત્રણ દીકરીઓ છે. તેમાંથી બે દીકરીઓની સગાઈ થઈ ગઈ છે. જેમના હવે 2-3 મહિનામાં લગ્ન થવાનાં હતા. તેના લગ્નનો ખર્ચો કાઢવો પણ હવે મુશ્કેલ થઈ ગયો હતો. અને પહેલાથી કોઈની પાસેથી ઉછીના લીધેલા હોય તે પણ ચુકવવાના હતા એટલે હવે લગ્નનો ખર્ચો કાઢવો, દેવું ચુકતે કરવું કે ઘર ચલાવવું? આ તમામ પ્રશ્નો તેમને અંદરથી રડાવી રહ્યા હતા. મેં તેમને સમજાવ્યા હતા કે, વધારે લાગણીશીલ થવાની જરુર નથી. તમે આવા એક ગફાર નથી. આવા તો સેંકડો ગફાર અહીં જીવે છે. પરંતુ દરેક આત્મહત્યા નથી કરતા. કોઈ અલ્લાહના ભરોસે જીવે છે, કોઈ મન મનાવીને જીવે છે, કોઈ રડીને જીવે છે તો કોઈ મુંઝાઈને જીવે છે. પરંતુ ગમે તેમ જીવવું તો પડે જ છે. ગફારભાઈના મામા એસ.એન.સમા અંતમાં કહે છે કે, માત્ર ખેડૂત જ નહીં પરંતુ કોઈપણ વ્યક્તિએ આવું છેલ્લું પગલું ન ભરવું જોઈએ. જે પણ કોઈ તકલીફ કે પીડા હોય તે કોઈ નજીકની વ્યક્તિને કહેવી જોઈએ. કારણ કે આત્મહત્યા પછી જીવનનો અંત તરત આવી જાય છે પરંતુ પાછળથી જે વિડંબના આવે છે તેના કારણે આખો પરિવાર હેરાન થાય છે. જિંદગી ખૂબ લાંબી છે. આ કોઈ નાટક નથી કે તેનો પડદો પડી જાય. જીવનમાં ગમે તેવી તકલીફ આવે તો તેનો સામનો કરવો જોઈએ. ઝઝૂમવું જોઈએ પણ આત્મહત્યા જેવું અંતિમ પગલું ન ભરાય... રેવદ ગામના રહેવાસી કરસનભાઈ ભાસ્કર સાથે ગફારભાઈને યાદ કરતાં કહે છે કે, ગફારભાઈ એકદમ ખુશ મીજાજ અને સરળ સ્વભાવના હતા. તેઓ તમામ લોકોની સાથે હસીને વાત કરતા હતા. હું ગામમાં હિન્દુ-મુસ્લિમ સર્વેનો ફાળો એકઠો કરીને સાર્વજનિક ગણેશ ઉત્સવ કરું છું. જ્યારે ગણપતિનો ઉત્સવ આવે ત્યારે ગફારભાઈ પહેલો ફોન મને કરે અને પહેલો ફાળો મને આપે. અને કહે કે, આ આયોજન તમે ચાલુ જ રાખજો. બંધ ન કરતા. અમારું નાનું એવું ગામ છે. અમારા ગામમાં તમામ હિન્દુ-મુસ્લિમના લોકો હળી મળીને રહે છે. ગફારભાઈ હિન્દુ તહેવારમાં ખુશી ખુશી હાજરી આપે. અમે હિન્દુ સમાજના લોકો પણ તેમના તહેવારમાં ખુશી ખુશી હાજરી આપીએ છીએ. ગફારભાઈ સાહિત્યના શોખીન હતા. તેમને વાંચન કરવું અને લખવું ખૂબ ગમતું હતું. તેઓ તેમના ઘરમાં, તેમના જીવન કે તેમના ગામમાં થતી નાની મોટી ઘટનાની નોંધ એક ડાયરીમાં કરતા હતા. જ્યારે તેમણે આત્મહત્યા કરી ત્યારે તેના 2 દિવસ પહેલાં ગામમાં પડેલા કમોસમી વરસાદની નોંધ કરતા ગયા. છેલ્લી નોંધમાં તેમણે લખ્યું હતું કે, કમોસમી વરસાદ ઈ.સ.2025-મંગળવાર તા.27/10/2025 ના રોજ રેવદ ગામે કમોસમી વરસાદ હોવાથી ખેતરોમાં માંડવી પાથરા પલળી ગયા હતા. ડાખીના ઢગલા પણ પલળી ગયા હતા.'' છેલ્લે તેમણે તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા ડાયરીમાં નોંધ કરતા લખ્યું કે, 31-10-2025 શુક્રવારના રોજ રેવદ ગામે કમોસમી વરસાદ ચાલુ જ હતો. ગફારભાઈની સાહિત્યકલાને લઈને તેમના પિતરાઈ ભાઈ અમીન સમા વાત કરતાં કહે છે કે, ગફારભાઈ સારા લેખક અને વાચક પણ હતા. સાહિત્યની ખૂબ સમજ હતી. તે ગ્રેજ્યુએટ હતા. તેમને શહેરનો કોઈ મોહ નહોતો. પરંતુ આ કમોસમી વરસાદ પડ્યો એટલે તેઓ કહેતા હતા કે હવે આજીવિકા માટે રાજકોટ જતું રહેવું છે અથવા કોઈ કંપનીમાં કામે લાગી જવું છે. કારણ કે, હવે ખેતીમાં કંઈ છે નહીં. આના માટે તેમણે રાજકોટમાં કેટલાક લોકોને નોકરી માટે ફોન પણ કર્યા હતા. તેમને નવરાત્રી ખૂબ પસંદ હતી. નોરતામાં ગફારભાઈ એક રાસ તો રમે ખરા... ગામની દરેક વિગત તેઓ તેમની ડાયરીમાં ઉતારતા હતા. ગામમાં કોણ મુલાકાત લે, વરસાદ ક્યારે આવે, ક્યારે બંધ થાય તેની તમામ વિગત તેઓ ડાયરીમાં ઉતારતા હતા. તેમણે છેલ્લી નોંધ આ કમોસમી વરસાદની કરી હતી પછી તેમણે કોઈ નોંધ કરી નથી. ગફારભાઈ એકદમ પરફેક્શનવાળા માણસ હતા. દરેક કામમાં ખેતીમાં પણ તેઓ પરફેક્શન રાખતા હતા. તેમની પાસે આવક અન્ય કોઈ સ્ત્રોત નથી. તેમનું અને તેમના સંપૂર્ણ પરિવારનું જીવન ખેતીવાડી પર નિર્ભર હતું એટલે તેઓ વધારે પડતા ડિપ્રેશનમાં આવી ગયા હતા. ભૂતકાળમાં ગામમાં આવો કમોસમી વરસાદ ક્યારેય નથી આવ્યો. એકવાર વાવાઝોડું આવ્યું હતું પરંતુ તેમાં નુકસાન તો હતું પરંતુ પાકનું નુકસાન નહોતું. વરસાદની સિઝન બાદ કમોસમી વરસાદ સતત એક અઠવાડીયાં સુધી પડે અને આખે આખો પાક નિષ્ફળ જાય આવો કમોસમ વરસાદ તો ક્યારેય જોયો જ નથી.
'પચ્ચીસેક વર્ષની યુવતીને ગાયનેક પ્રોબ્લેમ હતા અને તેને કારણે તે શારીરિક સંબંધો બાંધી શકે તેમ નહોતી. તેમ છતાં પેરેન્ટ્સે દીકરી માટે છોકરાઓ જોવાનું ચાલુ કરી નાખ્યું. એક યુવક પરિવાર સાથે તેને જોવા આવ્યો અને બંનેએ એકબીજાને પસંદ પણ કરી લીધાં. મા-બાપે દીકરીને દીકરીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું, કે તારી સમસ્યા અંગે ભાવિ પતિને કોઇ જ વાત કરવાની નથી. આ જ કારણે યુવતીએ પોતાની કોઈ વાત યુવકને કહી નહીં. બંનેના પરિવારની સહમતિથી ધામધૂમથી લગ્ન થયાં. લગ્નની રાત્રે જ યુવકને ખ્યાલ આવ્યો કે યુવતી શારીરિક સંબંધ બાંધી શકે તેમ નથી. યુવકે જરા આવેશમાં આવીને આ મુદ્દે પત્નીને સવાલો કર્યા, પરંતુ તેણે મગનું નામ મરી પાડ્યું નહીં. ત્યારબાદ યુવકે બેથી ત્રણવાર પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. કંટાળીને યુવકે પત્નીના મેડિકલ ટેસ્ટ કરાવ્યા અને તેમાં ગાયનેક સમસ્યા હોવાનું સામે આવ્યું. મેડિકલ રિપોર્ટ સામે હોવા છતાં યુવતી એ વાત સ્વીકારવા જ તૈયાર નહોતી કે તેનામાં કોઈ સમસ્યા છે. યુવકે યુવતીના પરિવારમાં આ અંગે વાત કરી તો ત્યાં પણ તેઓ કોઈ વાત માનવા તૈયાર નહોતાં. અંતે, યુવકે ફેમિલી કોર્ટમાં આ અંગે કેસ કરવાનું કહ્યું અને મેડિકલ રિપોર્ટ રજૂ કરીને લગ્ન પહેલાંથી જ આ વાત છુપાવી હોવાનું કહીને કેસ કરવાની વાત કરી. આ સમયે યુવતીના પરિવારને લાગ્યું કે જો કોર્ટમાં આ બધું જાહેર થશે તો તેમની દીકરીનું જીવન બરબાદ થઈ જશે અને અંતે તેમણે પરસ્પર સહમતિથી ડિવોર્સ લેવાનું નક્કી કર્યું....***છૂટાછેડાઃ સપ્તપદીનો આઠમો સૂરઆ શબ્દો છે અમદાવાદના જાણીતા એડવોકેટ મિહિર લાખિયાના. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમયે પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિ હવે અદૃશ્ય થઇ રહી છે અને ‘છૂટાછેડા’નો અછૂત ગણાતો શબ્દ આજની વરવી વાસ્તવિકતા બની રહ્યો છે. ગુજરાતમાં ચિંતાનજક રીતે વધી રહેલા ડિવોર્સના કેસોને વિગતે જાણવા માટે દિવ્ય ભાસ્કર આજથી છ એપિસોડની એક સિરીઝ શરૂ કરી રહ્યું છે, ‘છૂટાછેડા’. આ સિરીઝમાં આપણે રોજે છણાવટ કરીશું કે એક્ઝેક્ટ્લી એવાં કયાં કારણો છે જે એક સંબંધને ડિવોર્સ સુધી ખેંચી જાય છે. લગ્નને ફેમિલી કોર્ટના કઠેડામાં લાવીને મૂકી દેતું સૌથી મોટું પરિબળ છે, સેક્સ. જાતીય સંબંધો અને તેમાં આવતી જાતભાતની મુશ્કેલીઓ કેવી રીતે એક દંપતીને છૂટાં થવા સુધી લઇ જાય છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા ઉપરાંત એડવોકેટ અલ્પા જોગી, વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધી, રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશી સાથે વાત કરી. આ સંબંધોનાં મનોવૈજ્ઞાનિક તથા સામાજિક પાસાં જાણવા માટે સાયકોલોજિસ્ટ જયવંત મકવાણા અને સમાજશાસ્ત્રી ડૉ. દિનેશ કાંઝારિયા સાથે પણ ખાસ વાતચીત કરી. '2025માં ગુજરાતમાંથી 25 હજારથી વધુ ડિવોર્સ કેસ ફાઇલ થાય તેવી શક્યતા'અમદાવાદમાં 30 વર્ષથી પ્રેક્ટિસ કરતાં એડવોકેટ મિહિર લાખિયાએ વાતચીતની શરૂઆત કરતાં જ જણાવ્યું, 'છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં ડિવોર્સનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. ધોળકા, ધંધુકા તથા વિરમગામને બાદ કરતાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં 31 ઓક્ટોબર, 2025 સુધીમાં ડિવોર્સ કેસ અંદાજે 4000 તથા એલિમની, ચાઇલ્ડ કસ્ટડીના 4500 જેટલા કેસ એટલે કે અંદાજે 8500 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. 2025 પૂરું થાય ત્યાં સુધીમાં માત્ર અમદાવાદમાં જ સાતેક હજાર માત્ર ડિવોર્સ કેસ ફાઇલ થાય તેવી શક્યતા છે. ઓલ ઓવર ગુજરાતની વાત કરું તો અંદાજીત આંકડો 25 હજારની ઉપર હોઈ શકે છે. ડિવોર્સ કેસ ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોમાં વધુ નોંધાઈ રહ્યા છે.' 'સહનશક્તિ ઘટતાં ડિવોર્સનું પ્રમાણ વધ્યું'એડવોકેટ મિહિર લાખિયા તથા એડવોકેટ અલ્પા જોગીએ ડિવોર્સનાં કારણો અંગે પણ વાત કરી. બંનેના મતે, ડિવોર્સ વધવાનું સૌથી મોટું કારણ છે સોશિયલ મીડિયા તથા આજકાલ યુવાનોમાં સહનશક્તિ પણ ઘટી ગઈ છે. 'અમેરિકામાં પતિ જલસા કરે છે એમ ધારીને પત્નીએ બીજા પુરુષ સાથે સંબંધો બાંધ્યા'એડવોકેટ અલ્પા જોગીએ એક કિસ્સો શૅર કરતાં જણાવ્યું, '30 વર્ષનું કપલ નવ વર્ષ રિલેશનશિપમાં રહ્યાં બાદ લગ્ન કરે છે. પત્ની નોકરી કરતી હતી અને ત્યાં તેનો એક પુરુષ મિત્ર હતો. આ પુરુષ મિત્રને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થઈ ચૂક્યા હતા અને પતિએ આ મિત્રને મળવાની ચોખ્ખી ના પાડી દીધી. લગ્નનાં ત્રણેક વર્ષ પછી પતિને ચાર-પાંચ મહિના માટે કંપનીના કામ માટે અમેરિકા જવાનું થયું. આ દરમિયાન પતિની ગેરહાજરીમાં પત્નીએ તે પુરુષ મિત્ર સાથે ફિઝિકલ રિલેશન માણ્યા. પત્નીએ જાતે જ હોટેલ બુક કરાવી અને તે ગઈ. પતિને કોઈક રીતે આ વાતની ખબર પડતાં બંને વચ્ચે ઘણો જ મોટો ઝઘડો થયો. તેઓ મારી પાસે આવ્યાં ત્યારે પતિ ડિવોર્સ આપવા મક્કમ હતો. જ્યારે પત્નીને પોતાની ભૂલ માટે સહેજ પણ અફસોસ નહોતો. તેના મનમાં એવું હતું કે પતિ અમેરિકામાં જલસા જ કરવાનો છે ને, તો હું ભારતમાં રહીને કેમ જલસા ના કરું! પત્નીને એમ જ છે કે પતિ ત્યાં અન્ય યુવતીઓ સાથે બધું કરે તો હું કેમ નહીં? સમજાવટ બાદ પણ પતિ લગ્નજીવન ટકાવવા તૈયાર નહોતો. અંતે તેમણે એવું નક્કી કર્યું કે તેઓ પરિવારની જાણ બહાર ડિવોર્સ લેશે, પરંતુ અલગ રહેવાને બદલે છ મહિના સુધી એક જ ઘરમાં રહેશે. જો પત્નીની વર્તૂણક સારી હશે તો તેઓ પાછાં લગ્ન કરી લેશે.' 'આજકાલ ફિઝિકલ રિલેશન અંગે અવાસ્તવિક અપેક્ષાઓ વધી ગઈ છે'સાયકોલોજિસ્ટ જયવંત મકવાણાએ વાતને સમજાવતાં કહ્યું, 'યુગલોમાં ઘણીવાર ફિઝિકલ રિલેશન અંગે અવાસ્તવિક અપેક્ષાઓ જોવા મળે છે. તેમનામાં ઇમોશનલ ઇન્ટિમસીનો અભાવ હોય છે. તેઓ સતત પોતાની રચેલી કાલ્પનિક દુનિયા સાથે વાસ્તવિકતાની તુલના કરતા રહે છે. આ જ કારણે તેમને ફિઝિકલ રિલેશનમાં સંતોષ મળતો નથી. યુગલમાં કમ્યુનિકેશનનો પણ અભાવ જોવા મળે છે. જો યુગલ કાઉન્સેલિંગ માટે આવે તો ફિઝિકલ રિલેશનને કારણે થતા ડિવોર્સનું પ્રમાણ ઘટી શકે છે. ' 'નાનપણમાં એબ્યૂઝનો ભોગ બનેલી યુવતી શારીરિક સંબંધો બનાવી શકતી નહોતી'જયવંત મકવાણાએ એક ચોંકાવનારો કિસ્સો શૅર કર્યોઃ 25-30 વર્ષની વચ્ચેનું એક કપલ મારી પાસે આવ્યું હતું. તેમનાં લવ મેરેજ હતાં. પતિ જ્યારે પણ પત્ની સાથે ફિઝિકલ રિલેશન બનાવવાનો ટ્રાય કરે તો પત્ની સપોર્ટ જ ના કરે. એવું નહોતું કે પત્ની ફિઝિકલ રિલેશન બનાવવા માગતી નહોતી, પરંતુ તેનાથી શક્ય જ બને નહીં. આવું ખાસ્સા મહિનાઓ સુધી ચાલ્યું અને વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ. આખરે આ યુગલ કાઉન્સેલિંગ માટે આવ્યું. વાતચીત દરમિયાન યુવકે જણાવ્યું કે તે જ્યારે પણ ફિઝિકલ રિલેશન માણવા જાય ત્યારે યુવતી પોતાનું શરીર એ હદે ટાઇટ કરી નાખે અને કોઈ જાતનો સપોર્ટ આપે નહીં. આવું ખાસ્સો સમય ચાલ્યું ને દર વખતે યુવતી પતિ પાસે થોડો સમય માગે. કાઉન્સેલિંગ માટે આવ્યાં ત્યારે સૌ પ્રથમ યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું કે કોઈ ગાયનેક સમસ્યા નથી ને? અલબત્ત, બધું જ નોર્મલ હતું. કાઉન્સેલિંગ દરમિયાન એ વાત ધ્યાનમાં આવી કે યુવતી નાનપણમાં ચાઇલ્ડ એબ્યૂઝનો ભોગ બની હતી અને તે જ કારણે જ્યારે પણ તેની સાથે ફિઝિકલ ઇન્ટિમસી કરવામાં આવે ત્યારે તેના મનમાં પેલી વાતો આવી જતી અને તે સપોર્ટ કરી શકતી નહોતી. ધીમે ધીમે કાઉન્સેલિંગથી યુવતી નોર્મલ થઈ અને સદનસીબે તેમના ડિવોર્સ થતા અટકી ગયા. 'પોર્નોગ્રાફી જોવાને કારણે અસંતોષની લાગણી રહેતી'ફિઝિકલ રિલેશનમાં રહેલી ગૂંચવણો સંબંધોને કઈ હદે બગાડી નાખે છે તેનો અન્ય એક કિસ્સો જણાવતાં જયવંત મકવાણા કહે છે, 'એક યુવક મારી પાસે કાઉન્સેલિંગ માટે આવ્યો હતો. તેણે વાતચીતમાં જણાવ્યું હતું કે તે જે રીતે રિલેશન બનાવવા માગે છે તે રીતે કરી શકતો નથી અને તેને કારણે હંમેશાં અસંતોષ રહે છે. તે યુવક સતત પોર્નોગ્રાફી જોતો હતો અને તેમાં જે રીતે બતાવવામાં આવે તે રીતે તે ફિઝિકલ રિલેશન માણવા માગતો હતો. આ રીતે રિયલ લાઇફમાં શક્ય ના બનતાં તેને અસંતોષની લાગણી રહેતી. આ માટે તેણે વિવિધ જાતનાં તેલ, આયુર્વેદિક જડીબુટ્ટીઓ તથા દવાઓ ડૉક્ટરને બતાવ્યાં વગર જાતે જ લેવાનું શરૂ કર્યું. તેને કારણે કોઈ ફેર ના પડ્યો. આખરે કંટાળીને તે કોઈ ડૉક્ટર પાસે ગયો. આ ડૉક્ટરે તેની વ્યથા સાંભળ્યા બાદ તે યુવકને મારી પાસે મોકલ્યો હતો. વાતચીતમાં મારે તે યુવકને સમજાવું પડ્યું કે વાસ્તવમાં ફિઝિકલ રિલેશન આ રીતે કરવા શક્ય જ નથી. તેમને પ્રોપર સમજણ આપવામાં આવી કે ફિઝિકલ રિલેશન કેવા હોય. આ વાત સમજ્યા બાદ તે યુવકની અસંતોષની લાગણી દૂર થઈ.' 'ડિવોર્સ માટે દોઢ વર્ષ રાહ જોવી પડે'એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજકાલના પરિવારો પણ શારીરિક સમસ્યાની વાત છુપાવતા હોય છે. એક કિસ્સો કહુંઃ એક યુવક-યુવતીના એરેજન્ડ્ મેરેજ થયાં હતાં. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે કોઈ ને કોઈ કારણોસર શારીરિક સંબંધો બંધાતા નહીં. બે મહિના બાદ જ પત્નીને અચાનક જ એ વાતની જાણ થઈ કે તેનો પતિ તો ગે છે! આપણે ત્યાંના કાયદા પ્રમાણે, પતિ-પત્ની લગ્નના એક વર્ષની અંદર ડિવોર્સ ફાઇલ કરી શકે નહીં. આવા કિસ્સામાં ફેમિલી કોર્ટની પરવાનગી લઈને લગ્નના એકાદ મહિના બાદ જ પતિ ગે છે, પત્નીને ગાયનેક સમસ્યા છે.... આ પ્રકારનાં કારણો સાથે કેસ ફાઇલ કરી શકાય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ બધાં કારણો ત્યારે જ લખી શકાય કે જ્યારે યુવક કે યુવતી આ બધું સ્વીકારવા તૈયાર હોય. મારા અત્યાર સુધીના અનુભવ પ્રમાણે એટલું જ કહીશ કે આવું સ્વીકારવા માટે કોઈ પણ પક્ષ તૈયાર થતો નથી. આ જ કારણે લગ્ન બાદ તરત જ ડિવોર્સ શક્ય બનતા નથી. લગ્નના એક વર્ષ બાદ ડિવોર્સ ફાઇલ થઈ શકે અને ત્યારબાદ કોર્ટ છ મહિનાનો કુલિંગ પિરિયડ આપે છે એટલે યુગલ દોઢ વર્ષ બાદ જ ડિવોર્સ લઈ શકે છે.' 'અકુદરતી ફિઝિકલ રિલેશન માટે દબાણ કરતાં ડિવોર્સ ફાઇલ કર્યા'એડવોકેટ અલ્પા જોગીએ અન્ય કિસ્સાની વાત કરતાં જણાવ્યું, '22 વર્ષની એક હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યાં. સ્પેશિયલ એક્ટ હેઠળ લગ્ન હોવા છતાં પતિએ બીજા દિવસે પત્નીને જબરજસ્તી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવીને નિકાહ કર્યા. મજબૂરીમાં આવીને પત્નીએ આ બધું જ કર્યું. નવાઈની વાત એ છે કે આ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતાં તેના પેરેન્ટ્સ વચ્ચે ઝઘડો થયો અને તેઓ ડિવોર્સ લીધા વગર જુદા રહેવા લાગ્યાં. દીકરીને કારણે મા-બાપ અલગ થયાં. લગ્ન બાદ પતિ સતત અકુદરતી રીતે શારીરિક સંબંધો બાંધતો. પત્ની પ્રેગ્નન્ટ થવા ઈચ્છતી નહોતી તેમ છતાં તેને પ્રેગ્નન્ટ કરી. પતિ સોફ્ટવેર કંપની ચલાવતો હતો તો તેની ઓફિસમાં અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો રાખતો. પત્નીને બધી જ ખબર હતી, પરંતુ પુરાવા ન હોવાથી તે કંઈ જ કરી શકે તેમ નહોતી. અંતે પત્ની પાસે ઑફિસના CCTV આવ્યા અને તેણે પોલીસ સ્ટેશનમાં જઈને લવ જિહાદની ફરિયાદ નોંધાવવી, પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહોતી. તે મારી પાસે આવી અને હાલમાં કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે.' 'સોફ્ટ પોર્ન સરળતાથી મળી રહ્યું છે''આ ઉપરાંત આજકાલ યુવાન-યુવતીઓમાં એવું પણ જોવા મળે છે કે મને હસબન્ડ કે વાઇફ ફિઝિકલ રિલેશનમાં પૂરતો સંતોષ આપી શકતાં નથી. આ મુદ્દાને આધાર બનાવીને ડિવોર્સ માટે આવતા હોય છે. આનું મુખ્ય કારણ તો હું એટલું જ કહીશ કે યુવાવર્ગમાં સ્ટ્રેસ લેવલ સતત વધતું જાય છે. ડ્રગ્સ-આલ્કોહોલને કારણે તેમનાં ફિઝિકલ રિલેશનમાં પ્રોબ્લેમ આવતા હોય તેમ લાગે છે', તેમ એડવોકેટ મિહિર લાખિયાએ ઉમેર્યું હતું. તો ડૉ. દિનેશ કાંઝારિયા પણ માને છે કે આજકાલ લોકોમાં સોશિયલ મીડિયામાં સોફ્ટ પોર્ન સરળતાથી મળી રહ્યું છે. આ જ કારણે યુવક કે યુવતી ફિઝિકલ રિલેશન ને પાર્ટનરમાં વિવિધતા લાવવા ઈચ્છે છે અને અંતે તે ડિવોર્સમાં પરિણમે છે. સેક્સ અને સ્ટ્રેસ વિશે છોછ રાખવાની જરૂર નથીએડવોકેટ મિહિર લાખિયા સમાજમાં વધતા જતા ડિવોર્સ કેસ અંગે ચિંતા પ્રગટ કરે છે. આ અંગે તેઓ જણાવે છે, 'ભારતમાં વ્યક્તિ ડિપ્રેશનમાં હોય કે પછી સેક્સ્ય્લુઅલ લાઇફ સારી ન હોય, તો તે સાયકોલોજિસ્ટ-સાઇકાયટ્રિસ્ટ કે સેક્સોલોજિસ્ટ પાસે જતાં અચકાય છે. આજે પણ આપણા સમાજમાં આ વાતનો છોછ છે. આ તમામ સમસ્યાની દવા છે, પરંતુ યુવા વર્ગ શોર્ટ ટેમ્પરમાં આવીને પ્રોપર દવા કરે નહીં અને પછી તરત જ ડિવોર્સ લેવાનું ફાઇનલ કરી નાખે છે. સમાજમાં ડિવોર્સનું પ્રમાણ વધે નહીં તે માટે સરકારે સારાં મિડિએશન તથા કન્સિલિએશન સેન્ટર ઊભાં કરવાં જોઈએ. આ સેન્ટરમાં સારા સાયકોલોજિસ્ટ, સાઇકાયટ્રિસ્ટ તથા સેક્સોલોજિસ્ટ હોવા જોઈએ.' 'હવે કોર્ટ બેંક સ્ટેટમેન્ટ જોઈને ભરણપોષણ નક્કી કરે છે'વધુમાં, એડવોકેટ મિહિર કહે છે, 'આજકાલ યંગસ્ટર્સમાં ઇગો પ્રોબ્લેમ બહુ જ જોવા મળે છે. જો યુગલને બાળક ના હોય તો તેઓ જલ્દીથી ડિવોર્સ લઈને છૂટાં થવા માગે છે. 2020માં સુપ્રીમ કોર્ટે રજનીશ-નેહા કેસમાં ઓલઓવર ઇન્ડિયા માટે એક ગાઇડલાઇન બહાર પાડી હતી, જે પ્રમાણે હસબન્ડ કે વાઇફ જે પણ એલિમની માગે તેનાં ત્રણ વર્ષનાં ઇનકમટેક્સ રિટર્ન, ત્રણ વર્ષનાં બેંક સ્ટેટમેન્ટ,રોકાણ, ચલ-અચલ સંપત્તિ આ બધું જોયા બાદ હવે કોર્ટ એલમિની (ભરણ પોષણ)ની રકમ નક્કી કરે છે.' 'લગ્નસંસ્થા ધીમે ધીમે ખતમ થઈ જશે'સમાજશાસ્ત્રી ડૉ. દિનેશ કાંઝારિયાએ ડિવોર્સની વાત કરતાં જણાવ્યું, 'આજકાલ યુવાનોમાં લગ્ન બાદ બાળકો નહીં તેવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. આ જ કારણે હવે પરિવારને એ વાતનો ડર લાગે છે કે વંશ કે કુળનો અંત આવી જશે. આ ઉપરાંત મલ્ટિપલ પાર્ટનરને કારણે યુવક કે યુવતીને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસિઝ થવાની પણ શક્યતા રહે છે. જો આ અટકાવવામાં નહીં આવે તો ધીમે ધીમે સમાજમાંથી લગ્નસંસ્થા ધીમે ધીમે ખતમ થઈ જવાની અણી પર આવીને ઊભી રહેશે.' 'Gen Z મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર રાખે છે'સાયકોલોજિસ્ટ જયવંત મકવાણાના મતે, 'આજકાલ Gen Z વેબસિરીઝમાં બતાવવામાં આવતી દુનિયાને જ વાસ્તવિક માને છે. આ જ કારણે તેઓ રિલેશનશિપ અંગે કન્ફ્યૂઝ રહે છે. Gen Z મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર રાખવામાં માને છે. તેઓ એક પાર્ટનર માત્ર ફિઝિકલ રિલેશન માટે, એક માત્ર ઇમોશનલ સપોર્ટ માટે… એ રીતે અલગ-અલગ બાબતો માટે પાર્ટનર રાખતા થઈ ગયા છે. આ ટ્રેન્ડ સમાજ માટે લાલબત્તી સમાન છે.' 'હવે ફિઝિકલ રિલેશન્સ ચારિત્ર્યનો માપદંડ રહ્યા નથી'સમાજશાસ્ત્રી ડૉ. દિનેશ કાંઝારિયાએ મલ્ટિપલ પાર્ટનર સાથે ફિઝિકલ રિલેશન કેમ બાંધવામાં આવે છે તે અંગેનું કારણ સમજાવતાં કહ્યું, 'ફિઝિકલ રિલેશનને પહેલાં ભારતીય સમાજે ચારિત્ર્ય સાથે જોડ્યું હતું. હવે ચારિત્ર્ય ને ફિઝિકલ રિલેશનનું અંતર સતત વધી રહ્યું છે. આ વેસ્ટર્ન કલ્ચરનો કોન્સેપ્ટ છે. ભારતમાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે, પરંતુ હવે આ વિચારધારા બદલાઈ રહી છે.' 'સેવિંગ્સની ભાવના વિસરાઇ'એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજકાલ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાંય સોશિયલ મીડિયાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મોબાઇલને કારણે પણ ડિવોર્સ કેસ વધ્યા તેમ કહી શકાય. બીજી એક વાત કરું તો, પહેલાં દાદા-દાદી, પેરેન્ટ્સ બજેટ પ્રમાણે ઘર ચલાવતાં. આજકાલની જનરેશને આ બજેટનો જ છેદ ઉડાવી કાઢ્યો છે. પહેલાં સેવિંગ્સ કે બચતની ભાવના હતી. આજે તો જે કમાયા એ ઉડાવો એ મંત્ર પર જ આજની પેઢી જીવે છે. જ્યારે પૈસા ખૂટે કે અન્ય નાણાકીય મુશ્કેલી આવે એટલે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને સહન કરવાની આદત ના હોવાથી સીધાં ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. 'કમ્યુનિકેશનથી સમસ્યાનો ઉકેલ આવશે'જયવંત મકવાણાએ કપલને સલાહ આપતાં કહ્યું, 'યુવક-યુવતીઓ પાસે આજે પણ ફિઝિકલ રિલેશન અંગે સાચું નોલેજ હોતું નથી અને તેઓ પોર્નોગ્રાફી કે વેબ સિરીઝ જોઈને આ બધું શીખતાં હોય છે. તેમણે સેક્સોલોજિસ્ટ પાસે જવાની જરૂર છે. જો ફિઝિકલ રિલેશનમાં કોઈ સમસ્યા છે તો તેની પાર્ટનર સાથે ચર્ચા કરવી જરૂરી છે અને ત્યારબાદ એક્સપર્ટ પાસે જવું જોઈએ. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. આનાથી સંબંધો સ્ટ્રોંગ બનશે. ફિઝિકલ રિલેશનને કારણે જ લગ્નસંબંધ ટકે એવું ના હોય અને તે વાત આજનાં યુગલોએ સમજવી જરૂરી છે.' 'કોર્ટ પણ ભેગા કરવાનો પ્રયાસ કરે છે'એડવોકેટ મિહિર લાખિયા જણાવે છે, 'જ્યારે યુગલમાંથી કોઈ એક અમારી પાસે ડિવોર્સ લેવા આવે ત્યારે પરિવારે તો સમજાવ્યાં જ હોય છે, પરંતુ અમે પણ સમજાવીએ છીએ. હસબન્ડ-વાઇફ એકલાં હોય તો હજી વાંધો ના આવે, પરંતુ જ્યારે બાળક હોય ત્યારે કસ્ટડીનો પ્રશ્ન ઊભો થાય અને સૌથી વધુ સહન કરવાનું બાળકના હિસ્સે જ હોય છે. કોર્ટમાં કન્સિલિએશન (સમાધાન) તથા મીડિએશન (મધ્યસ્થી)ની જોગવાઈ હોય છે અને તેના માધ્યમથી ડિવોર્સ ના થાય તેવો પ્રયાસ કોર્ટ પણ કરતી હોય છે. અલબત્ત, આનો સક્સેસ રેશિયો 100એ માંડ 5-10નો છે, યાને કે પાંચ કે દસ કપલ ડિવોર્સ લેવાનું માંડી વાળે છે.' 'માફ કરી દેવાનું સમજાવું છું'એડવોકેટ અલ્પાબેન જોગીએ ફેમિલી કાઉન્સેલિંગ અંગે વાત કરતાં કહ્યું હતું, 'જ્યારે પણ મારી પાસે ડિવોર્સ કેસ આવે ત્યારે હું પતિ કે પત્નીને એકબીજાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરતી હોઉં છું. જો તેમને બાળક હોય તો તેમના ભવિષ્ય અંગે વિચારવાનું કહીને ડિવોર્સ ના લેવાનું સમજાવું છું. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને કારણે જ્યારે ડિવોર્સ થતા હોય ત્યારે પાર્ટનર પાસે ખાતરી લેવડાવી માફ કરી દેવાની વાત કરતી હોઉં છું.' 'દાદા-દાદી પાસેથી જીવન જીવતાં શીખો'વધુમાં અલ્પાબેન કહે છે, 'હું ડિવોર્સ માટે આવતા કપલને હંમેશાં એક વાત કહેતી હોઉં છું કે પતિ-પત્નીને ભગવાને અલગ જ રીતે બનાવ્યાં છે અને તેથી જ નાના-નાના ઝઘડા થવા સ્વાભાવિક છે. આ ઝઘડાને કેવી રીતે ટાળી શકાય તે જોવું જરૂરી છે. ઝઘડા તો આપણાં દાદા-દાદી, મા-બાપ વચ્ચે પણ થતા. તેઓ ક્યારેય એકબીજાને 'આ ઘરમાંથી જતી રહે' કે 'હું મારે પિયર જાઉં છું' કે 'હું ઘર છોડીને જતી રહીશ' એવું કહેતાં નહોતાં. આપણે તેમની પાસેથી સાથે જીવવાની રીત શીખવાની જરૂર છે.' રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ જણાવ્યું, 'ડિવોર્સના કેસનું પ્રમાણ વધવાનાં કારણોમાં મોબાઇલ, સહનશક્તિનો અભાવ તથા મા-બાપની દખલગીરી જવાબદાર છે. ઘણીવાર મહિલાઓ 498ની કલમ (ક્રૂરતા) તથા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો દુરુપયોગ કરતી હોય છે. ઘણીવાર જોવા મળ્યું છે કે યુવતી લગ્ન કરીને સાસરે તો આવી જાય છે, પરંતુ પિયર સાથેનું એટેચમેન્ટ સતત રહે છે. તે સાસરીની નાની નાની વાતો ત્યાં શૅર કરે છે. આ જ કારણે યુવતી સાસરે સેટ થવામાં તકલીફ અનુભવે છે. પિયર છોડવાની વાત નથી, પરંતુ સાસરિયાંને અપનાવવાની વાત થાય છે. ઘણીવાર એવું લવમેરેજ પણ કલ્ચર ડિફરન્સને કારણે ડિવોર્સ થતા હોય છે. ભવિષ્યમાં લગ્નસંસ્થા સામે જોખમ ઊભું થવાનું છે. જો આ જ રીતે ડિવોર્સનું પ્રમાણ વધતું ચાલ્યું તો આગામી વર્ષોમાં લગ્નને કારણે સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય તો નવાઈ નહીં.' ‘આજકાલ તો દરેકને ડિવોર્સ જોઈએ છે'વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ કહ્યું હતું, ડિવોર્સ કેસમાં ઉછાળો આવ્યો છે. એવું લાગે છે કે દરેકને ડિવોર્સ જોઈએ છે. નાની એવી વાત થઈ અને ડિવોર્સ લેવા ઉતાવળા બની જાય છે. હવે કાઉન્સિલિંગની ઘણી જ જરૂર છે. હવે મહિલાઓ કામ કરવા લાગી છે. મહિલાઓ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. મહિલા ને પુરુષ ઇન્ડિપેન્ડન્ટ થાય તે અલગ છે. મહિલાઓમાં આજકાલ પુરુષ માનસિકતા હાવી થઈ ગઈ છે. આપણે પિતૃસત્તાક સમાજમાં રહીએ છીએ અને આ વાત આપણે સમજવી પડશે. આપણી સંસ્કૃતિ આ જ છે. જ્યારે મહિલા 'હું આ જ કરીશ' એ ભાવના પરિવારમાં લાવવા લાગે ત્યારે ઘરમાં ઝઘડા શરૂ થાય છે. મહિલાઓએ ગુલામી કરવાની નથી અને સામે આપણે બીજા કોઈને ગુલામ બનાવી શકીએ નહીં તે સમજવાનું છે. પેરેન્ટ્સ પહેલાં સાથે રહેતાં હતાં એટલે સમજાવતાં હતાં. હવે દરેક મહિલા એમ જ કહે છે કે હું ને મારો પતિ. બીજું કોઈ ના જોઈએ. આ કારણે હવે કોઈ સમજાવવાવાળું રહ્યું નથી અને કોઈ સમજતું પણ નથી. આ જ સૌથી મોટી તકલીફ છે.' બ્રિટિશ ભારતના પહેલા ડિવોર્સભારતમાં હિંદુ રીત-રિવાજમાં ક્યાંય છૂટાછેડા કે તલ્લાક જેવી પરંપરા નથી. તલાક શબ્દ પણ અરબી છે. હિંદુ ધર્મ લગ્નને જન્મોજન્મનો સંબંધ માને છે. આ જ કારણે ભારતમાં ડિવોર્સની વાત એક સમયે આંચકાજનક કહેવાતી. ભારતમાં ડિવોર્સના કાયદા હેઠળ કોણે સૌપ્રથમ વાર છૂટાછેડા લીધા હતા, તે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. આ ડિવોર્સ રખમાબાઈ રાઉતે લીધા હતા અને તેની ચર્ચા છેક બ્રિટન સુધી થઈ હતી. રખમાબાઈનો જન્મ 22 નવેમ્બર, 1864માં મુંબઈમાં થયો હતો. માતાએ માત્ર 14 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં ને 15 વર્ષે દીકરી રખમાબાઈને જન્મ આપ્યો. લગ્નનાં ત્રણ વર્ષ બાદ પતિનું અવસાન થતાં ડૉ. સખારામ અર્જુન રાઉત સાથે બીજા લગ્ન કર્યા. ડૉ. રાઉતે સાવકી દીકરી રખમાબાઈના જીવનમાં ખાસ્સો પ્રભાવ પાડ્યો ને અભ્યાસથી લઈ દરેક બાબતમાં સાથ આપ્યો. રખમાબાઈ 11 વર્ષનાં હતાં ને તેમનાં લગ્ન આઠ વર્ષ મોટા દાદાજી ભીકાજી સાથે કરાવવામાં આવ્યાં. જોકે, તેઓ સાસરે રહેવાને બદલે પિયર રહીને અભ્યાસ કરતાં હતાં. લગ્નનાં નવ વર્ષ બાદ દાદાજીએ પત્નીને સાસરે આવવાનું કહ્યું, પરંતુ રખમાબાઈએ ના પાડી. દાદાજીએ 1885માં બોમ્બે હાઇકોર્ટમાં કેસ કર્યો. જસ્ટિસ રોબર્ટ હિલ પિન્હે આ કેસ ડિસમિસ કરીને એમ કહ્યું કે રખમાબાઈને સાસરે આવવા માટે બળજબરી કરી શકાય નહીં, કારણ કે જ્યારે તેમનાં લગ્ન થયાં ત્યારે તે બાળક હતાં. રાણી વિક્ટોરિયાએ દરમિયાનગીરી કરતાં રખમાબાઈના પક્ષમાં ચુકાદો આવ્યોદાદાજીએ ફરી અપીલ કરતાં આ કેસ બે જજની બેંચ પાસે ગયો. જસ્ટિસ ફરહાને માર્ચ, 1887માં દાદાજીની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું કે રખમાબાઈ પાસે માત્ર બે જ વિકલ્પ છે, એક તો તેઓ પતિ સાથે સાસરે જાય અથવા છ મહિનાની જેલની સજા ભોગવે. બધાના આશ્ચર્યની વચ્ચે રખમાબાઈએ પતિને બદલે જેલવાસ પસંદ કર્યો. તે સમયે આખા ભારતમાં આ કેસની ચર્ચા થઈ હતી. સમાજે રખમાબાઈ પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો હતો. રખમાબાઈ હિંદુ ધર્મ માટે કલંક હોવાનું કહેવામાં આવ્યું. જોકે, રખમાબાઈ પોતાના નિર્ણય પર મક્કમ જ રહ્યાં. રખમાબાઈએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ‘અ હિંદુ લેડી’ નામની કોલમ શરૂ કરી અને તેમાં તેઓ સામાજિક મુદ્દા, મહિલા અધિકારીઓ તથા સામાજિક ક્રાંતિ અંગે વાત કરતાં. આ કોલમ તે સમયના જાણીતા લોકોમાં ચર્ચાસ્પદ બની. એ જ કારણે બેહરામજી મલબારી તથા રમાબાઈ રન્નાદેએ રખમાબાઈ પ્રોટેક્શન કમિટીની રચના કરી અને આ કેસમાં તેમને સપોર્ટ કરવા પબ્લિક રેલી કાઢવામાં આવી. રખમાબાઇને દેશભરમાંથી સમર્થન મળ્યું અને પછી તેમણે ઇંગ્લેન્ડમાં પ્રિવી કાઉન્સિલમાં અપીલ કરી. રાણી વિક્ટોરિયાના ધ્યાનમાં રખમાબાઈના આર્ટિકલ્સ આવ્યા. આ જ કારણે તેમણે આ કેસમાં દરમિયાનગિરી કરી અને રખમાબાઈને થયેલા અન્યાયને સ્વીકારીને તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. જુલાઈ, 1888માં રૂખમાબાઈને ડિવોર્સ મળ્યાં. ત્યારબાદ રખમાબાઈએ ‘લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફોર વુમન’માં અભ્યાસ કર્યો અને ડૉક્ટર બન્યાં. રખમાબાઈ કેસ બાદ બ્રિટિશ ભારતમાં એજ ઓફ કન્સેન્ટ એક્ટ 1891 બનાવવામાં આવ્યો અને શારીરિક સંબંધ માટે મહિલાની ઉંમર 10થી વધારીને 12 કરવામાં આવી. (આવતીકાલે 'છૂટાછેડા' સિરીઝના બીજા એપિસોડમાં વાંચો, સાવ નાની-નાની વાતો તથા હાઇજિનને કારણે આજકાલ યંગસ્ટર્સ ડિવોર્સ લઈ રહ્યા છે. એક કિસ્સામાં તો પત્ની દિવસો સુધી યુઝ્ડ સેનિટરી પેડ્સ બાથરૂમમાં મૂકી રાખતી. અંતે કંટાળીને પતિએ ડિવોર્સ કેસ ફાઇલ કર્યો...)
ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકવાદીઓ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. આ ત્રણેય આતંકીઓને તેમના આકા આગળ શું કરવાનું છે તેની માહિતી એક સાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે તેવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. ગુજરાત ATSએ આ આખું ઓપરેશન 2 દિવસમાં પાર પાડી દીધું હતું. દિવ્ય ભાસ્કરને આ ઓપરેશન વિશે ઘણી માહિતી મળી છે. ટોલ ગેટ બંધ કરાવવવાથી માંડીને પાલનપુરની હોટલમાં રાતના સમયે પડેલા દરોડાની ઇનસાઇડ સ્ટોરી વાંચો. 7મી તારીખે બાતમી મળી હતી7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. જેના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેકનિકલ એનાલિસિસ કરીને તેની મુવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલાં તો કોઇ ખાસ સફળતા ન મળી પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મુવમેન્ટ કલોલ તરફ જોવા મળી. જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. એક પીઆઇને તેમની ટીમ સાથે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી અને થોડી જ વારમાં તેમને અડાલજ ટોલ પ્લાઝા ખાતે મોકલી દેવાયા કેમ કે મોહ્યુદ્દીનની કાર અડાલજ ટોલ પ્લાઝા તરફ જઇ રહી હતી. ટોલ પ્લાઝા પર પહોંચીને પીઆઇની ટીમે વોચ ગોઠવી દીધી હતી. આતંકીની કારને ફસાવવા 3 ટોલ ગેટ બંધ કરાવ્યાઅહીં વોચમાં રહેલા પીઆઇને આરોપીની કાર દેખાતા જ 3 ટોલ ગેટ બંધ કરીને એક જ ચાલુ રખાવ્યો હતો, જેથી આરોપી ટ્રાફિકમાં ફસાઇ જાય અને થયું પણ પ્લાન મુજબ જ. ત્રણ ટોલ ગેટ બંધ થઇ જતાં ટ્રાફિક થઇ ગયો અને મોહ્યુદ્દીનની કાર આગળ-પાછળ અન્ય કાર વચ્ચે ફસાઇ ગઇ. ડબ્બામાંથી હથિયારો મળ્યાંઆના પછી ATSની ટીમ સામાન્ય ચેકિંગના બહાને તેની કાર પાસે ગઇ અને કારની તપાસ કરવી છે તેમ કહ્યું હતું. આરોપી કંઇ સમજી શકે એ પહેલાં તો તપાસ શરૂ કરી દીધી હતી. ATSની ટીમને કારમાંથી એક ડબ્બો મળ્યો હતો. જે બહુ સારી રીતે પેક કરાયેલો હતો. ડબ્બામાં 3 હથિયારો હતા. ઉપરાંત કારમાં બિસ્લેરીનું 10 લીટરનું કન્ટેનર પણ હતું, જેમાં પાંચેક લીટર પ્રવાહી ભરેલું હતું. પાછળથી ATSને ખબર પડી કે એ કેસ્ટર ઓઇલ છે.કારમાંથી મોહ્યુદ્દીનના 2-3 પાનકાર્ડ પણ મળ્યા હતા. બાદમાં તેને ATSની ઓફિસે લાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે 7 તારીખે સવારે જ અમદાવાદ ખાતે આવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે કલોલના એક કબ્રસ્તાન પાસેથી હથિયારો લેવાના છે. મોહ્યુદ્દીનનો ફોન તપાસતા એક મેસેજમાંથી તેના 2 સાગરિતોના નામ ખુલ્યા હતા ઉપરાંત વોટ્સએપ અને ટેલિગ્રામમાંથી ઘણી ચેટ મળી આવી હતી. જેમાંથી એક ચેટ અબુ ખદીજા સાથેની હતી. અબુ ખદીજા મોહ્યુદ્દીનનો આકા છે અને વિદેશી છે. તેણે મોહ્યુદ્દીનને કહ્યું હતું કે ગુજરાત આવીને હથિયાર લઇ લેજે. મોહ્યુદ્દીન અને અબુ ખદીજા વચ્ચે થયેલી છેલ્લી ચેટમાં અબુએ તેને એવું કહ્યું હતું કે કલોલ જઇને હથિયાર લઇ લેજે. જો હથિયાર ન મળે તો અબુએ મોહ્યુદ્દીનને એક ભારતીય નંબર પર કોન્ટેક્ટ કરવાનું કહ્યું હતું. અબુએ મોહ્યુદ્દીનને જે ભારતીય નંબર આપ્યો હતો તે કોનો હતો તેના વિશે જલ્દી તપાસ કરવી જરૂરી હતી. ATSએ જ્યારે એ નંબરનું લોકેશન કાઢ્યું તો તે પાલનપુરનું આવતું હતું. રાત્રે પાલનપુરની હોટલમાં દરોડા પડ્યાંજેથી રાત્રે 12 વાગ્યાની આસપાસ ATSની એક ટીમને પાલનપુર મોકલવામાં આવી હતી પરંતુ એક્ઝેટ લોકેશન ન હોવાને કારણે ATSની ટીમે ઘણી હોટલમાં તપાસ કરી હતી. છેવટે એક હોટલમાંથી તેમને આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલ નામના 2 આતંકીઓ મળી આવ્યાં હતા. બન્નેની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે અમને આ હથિયાર રાજસ્થાનના હનુમાનગઢથી લઇને કલોલમાં કઇ જગ્યાએ મૂકવાના છે તેનું લોકેશન આપવામાં આવ્યું હતું. એ પછી પાલનપુર જઇને રોકાવાનું કહ્યું હતું. ટ્રેનમાં અમદાવાદ આવીને કલોલમાં હથિયાર મૂક્યાંઆકા તરફથી મળેલી આ સૂચના અનુસાર એ બન્ને 6 તારીખે હનુમાનગઢ ગયા હતા અને 7 તારીખે ટ્રેનમાં હનુમાનગઢથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવીને કલોલ ગયા હતા. જ્યાં તેમને અપાયેલા લોકેશન પર હથિયાર મૂકી આવ્યા હતા. જે જગ્યાએ હથિયાર મુક્યા હતા એ તળાવની બાજુમાં અવાવરું જગ્યા હતી. કલોલમાં હથિયાર મુકીને બન્ને પાલનપુર ગયા હતા. આ કામ બદલ બન્નેને પૈસા મળતા હતા. આ તરફ આતંકી ડૉક્ટર મોહ્યુદ્દીનને તો પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તેણે શું કરવાનું છે. તે 7 તારીખે અમદાવાદ આવ્યો પછી જુહાપુરામાં રોકાયો હતો. એ સમયે તેને ખબર નહોતી કે તેને ક્યાં જવાનું છે. મોહ્યુદ્દીનને એટલું જ કહેવાયું હતું કે હોટલમાં રોકાજે, તને આગળની જાણ કરવામાં આવશે. હૈદરાબાદથી બીજ ખરીદ્યા હતામોહ્યુદ્દીને સાઇનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવા માટે હૈદરાબાદથી એરંડાના 10 કિલો બીજ ખરીદ્યા હતા. આ બીજ સાથે લઇને તે અમદાવાદ આવ્યો હતો. 2 આતંકીઓએ અમદાવાદમાં રેકી કરી હતીમોહ્યુદ્દીન સિવાયના 2 આતંકીઓ આ પહેલાં પણ ગુજરાત આવી ચુક્યા છે. બન્નેએ અમદાવાદની સંવેદનશીલ અને ભીડવાળી જગ્યાની રેકી કરી હતી. બંને મદ્રેસામાં હાફિઝ છે. મોહ્યુદ્દીન આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગતો હતો. જેના માટે તેને રૂપિયા અને હથિયારોની જરૂર હતી એટલા માટે તે અબુ ખદીજાના સંપર્કમાં આવ્યો હતો. તેનો પ્લાન હતો કે જો બરાબર ફંડ અને હથિયાર મળી જાય તો એ પ્રોપર રિક્રુટમેન્ટ શરૂ કરી શકે. મોહ્યુદ્દીને 2010માં ચીનથી MBBS કર્યું હતું. ભારતમાં ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ શરૂ કરવા માટે MCIની પરીક્ષા આપવી પડે. જે તેણે આપી નહોતી એટલે પ્રેક્ટિસ શરૂ કરી શક્યો નહોતો. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતાઆ ત્રણેય આતંકવાદીઓ કટ્ટર માનસિકતા ધરાવતા હતા અને યોગ્ય માર્ગદર્શન મળે તો કંઇપણ કરવા તૈયાર હતા. મોહ્યુદ્દીન યુવાનો અને બીજા લોકોનો સંપર્ક કરીને કટ્ટરતાવાદી ગ્રુપ્સ બનાવતો હતો. આવા ગ્રુપ્સમાંથી તે એકસરખી વિચારધારા ધરાવતા અન્ય લોકોના સંપર્કમાં આવ્યો હતો. જેના પછી તે લોકો એકબીજા સાથે ખાનગીમાં વાતો કરતા હતા. આપણે બદલો લેવાનો છે તેવી વાતો કરતાઆવી વાતચીતની શરૂઆત ઇન્સ્ટાગ્રામથી થઇ હતી પછી ટેલિગ્રામ અને વોટ્સએપ એમ બન્ને એપથી એકબીજા સાથે વાતો કરતા હતા. ઘણા મુસ્લિમોને એકઠા કરવાના છે, આપણે બદલો લેવાનો છે, આપણે કંઇ કરવું જોઇએ એવી વાતો કરતા હતા. આ ત્રણેય આતંકીઓએ પહેલાં આવી કોઇ પ્રવૃત્તિ કરી હોય, ફંડ ક્યાંથી આવ્યું હોય, ઘરે કંઇ રાખ્યું હોય તો તે અંગે તપાસ ચાલુ છે. આતંકવાદી પ્રવૃત્તિ કોઇ સ્થાનિક વ્યક્તિ મારફતે પણ કરાવી શકતા હતા પરંતુ તેવું કેમ ન કર્યું તેની પણ તપાસ થઇ રહી છે. હવે તેમની સાથે જોડાયેલા અન્ય લોકો અંગે તથા તેની સાથે બહારના દેશમાંથી કોણ કેવી રીતે કોન્ટેક્ટ રાખતું હતું ઉપરાંત મોહ્યુદ્દીને ક્યાંથી કેટલું ફંડ મેળવ્યું હતું તે દિશામાં તપાસ આગળ વધશે. ATSની અલગ અલગ ટીમમાં 30થી વધુ લોકો જોડાયેલા હતા.
મંડે પોઝિટીવ:સૌરાષ્ટ્રની 16 ટીમમાંથી સાવરકુંડલાની ટીમ વિજેતા
ભાવનગર જીલ્લાના ગારીયાધાર ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાણી હતી જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ફાઈનલ ક્રિકેટ મેચમાં સાવરકુંડલાની સરે ઈલેવન અને પાલીતાણા ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં સાવરકુંડલાની સરે ઇલેવન ચેમ્પિયન બની હતી. સાવરકુંડલાની ટીમે ટોસ જીતીને પહેલાં બેટીગ લીધી હતી. પહેલાં દાવમાં સરે ઇલેવને 116 રન કર્યા હતા. સામે પાલીતાણાની ટીમે 50 રનમાં ઓલઆઉટ કરી હતી. સાવરકુંડલાની સરે ઈલેવન તરફથી બેસ્ટમેન અસુ મકવાણાએ 68 રન જયારે અબ્દુલ બાવનકાએ 30 રન કર્યા હતા. જયારે બોલર શાહિદ ઝાખરાએ 3 વીકેટ ઝડપી હતી. સાવરકુંડલાની સરે ઇલેવન ટીમમાં કેપ્ટન રમીઝ મલેક, વાઈસ કેપ્ટન એજુ પઠાણ, શાહિદ ઝાંખરા, સાબીર મલેક, સોયબ મલેક, અસુ અકીલ પઠાણ, તુફેલબાપુ, મોસીન ભુરો, રાવત અકીબ પરયાણી, અબ્દુલ બાવનકા, અર્શદ અલી બાપુ, નદીમ જયારે કોચ તરીકે ઇરફાન કુરેશી, સરજુ જમાદાર, કબીર મલેક, એજાજ બગી, તાહીર કુરેશી રહ્યા હતા અને ફાઈનલ મેચ જીતી ચેમ્પિયન ટીમ બની હતી.
હુમલો:કેશોદમાં જુના મનદુઃખથી માતા, પુત્રે લાકડી વરસાવી
કેશોદના વાસાવાડી પ્લોટ પલવીનગરમાં રહેતા 29 વર્ષીય નિશાબેન કરણભાઈ વાજાના જેઠ મિલનભાઈને તેના જ ગામના સાગર ભુરાભાઈ કરગઠીયા સાથે જુનું મનદુઃખ જેથી તેને સમજાવવા ગયા હતા. ત્યારે નિશાબેન, સાસુ હીરાબેન, જેઠાણી કાજલબેન સાથે સાગર તથા ઉષાબેન ભુરાભાઈ કરગઠિયાએ બોલાચાલી કરી હતી અને સાગરે ઉશ્કેરાઈ જઈને નિશાબેનને લાકડી વડે માર મારતા જેથી કાજલબેન પકડવા જતા તેને લાકડી ઝીંકી દીધી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરી હતી.
જેસીબી ચાલકે સર્જ્યો અકસ્માત:જેસીબી ચાલકે 3 વાહનને ટક્કર મારી,1ને ઈજા
શહેરમાં અકસ્માતની ઘટનામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ઝાંઝરડા અંડર બ્રિજ પાસે મોડી રાત્રે જેસીબી ચાલકે 3 વાહનને ટક્કર મારી હતી. અકસ્માતથી જાનહાનિ ટળી હતી. પરંતુ મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનો પર અંકુશ આવે તેવી દિશામાં પોલીસ પગલા ભરે એવી માંગ ઉઠી હતી. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર શહેરમાં ઝાંઝરડા અંડર બ્રિજ પાસેથી રાત્રિના પૂરપાટ ઝડપે જઈ રહેલા જેસીબીના ચાલકે 3 વાહનને હડફેટે લઈ ઉડાવી દીધા હતા. ગોઝારા અકસ્માતને લઇ સદનસીબે જાનહાનિ થઈ ન હતી. પરંતુ એક મહિલાને ગંભીર ઈજા થવાથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનો પર અંકુશ આવે તે દિશામાં પોલીસ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે એવી માગણી નગરજનોમાંથી ઉઠી છે.
ગામ ગામની વાત:વર્ષો જૂનું ગામ હોવા છતાં ખરાબ રસ્તા અને સરકારી વાહનોના અભાવે ગ્રામજનો હેરાન
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલું આશરે 500 વર્ષ જૂનું કોયલી ગામ તેની સમૃદ્ધિ અને પૌરાણિક મહત્વ માટે જાણીતું છે. 2200ની વસ્તી અને 80% સાક્ષરતા ધરાવતા આ ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ કોયલી મઠ, ખરડેશ્વર મહાદેવ, જોગી સ્વામીનું જન્મસ્થળ, બાલકૃષ્ણ હવેલી, અને 200 વર્ષ જૂનો રાજાશાહી વખતના દરવાજા જેવા અનેક પ્રસિદ્ધ સ્થળો આવેલા છે. જૂનાગઢથી માત્ર 10 કિલોમીટર અને નેશનલ હાઇવેથી 1 કિલોમીટરના અંતરે હોવા છતાં, ગામ હજી પણ અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામમાં ત્રણ આંગણવાડી, એક પ્રાથમિક શાળા, એક ઉચ્ચ માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને ગૌશાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, ગ્રામજનોની મુખ્ય ફરિયાદ ખરાબ રસ્તાઓ અને સરકારી વાહનવ્યવહારને લઈને છે. ગામના સંજયભાઈ કોડવાળાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં પણ સરકારી વાહનોની સુવિધા ગામ સુધી પહોંચી શકી નથી. વધુમાં, ગામમાં લાઈટ અને પાણીની સુવિધા હોવા છતાં, ખરાબ રસ્તાઓ અને ટ્રાન્સપોર્ટના અભાવે આ ઐતિહાસિક ગામના વિકાસની ગતિ ધીમી પડી છે. ગ્રામજનો વહીવટીતંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં તૈયાર મગફળી સહિતના પાક પલળી જતાં ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકશાન થવા પામ્યું છે. સરકારે બે હેકટરની મર્યાદામાં હેકટર દીઠ 22000 જેવી સહાય જાહેર કરી વાહ વાહી કરવા રાહત પેકેજને ઐતિહાસિક ગણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આ અંગે ખેડૂતો સાથે વાત કરતાં તેમણે ખેડૂતોએ એકજૂટ થઈ આ રાહત પેકેજને ઠોકરાવવું જોઈએ તેમ જણાવવી ઉત્પાદનની વિગતવાર માહિતી આપી હતી જેમાં ખેતરમાં મગફળી વાવેતરથી લઈ પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ખર્ચના બે પ્રકાર ગણાવ્યાં હતાં. જેમાં પ્રથમ પોતાની સાધન સામગ્રી સાથે જાતે મહેનત કરી મગફળી પાક તૈયાર કરાતાં 12000 જેવો ખર્ચ લાગે જયારે બીજી રીતમાં સંપૂર્ણ પણે બીજા આધારિત ખેતી કરવી જેમાં 16000 હજાર જેવો ખર્ચ ગણાવ્યો હતો. હવે જયારે ચોમાસામાં અતિવૃષ્ટિ અને વાતાવરણમાં સતત બદલાવ આવતાં વિઘે ખાંડીની ગણતરી પ્રમાણે 35 ટકા જેવો ઘટાડો જોવા મળ્યો છે જયારે કમોસમી વરસાદથી મગફળી ડેમેજ થતાં વિઘે ભાવ ફેરફારમાં 10 હજારની નુકશાની ગણાવી હતી. વધુમાં ઘાસચારો સંપૂર્ણ નાશ પામવો ઉપરાંત કમોસમી વરસાદથી ડબલ કામગીરી કરવી પડતી હોય ડબલ મજૂરી દેવી પડી રહી છે ઉપરાંત ખેડૂતો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ હોય ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો હોય ફરજીયાત મોંઘા પાળા ચારાની ખરીદી કરતાં વિઘે 5000 હજારની વધુ નુકશાની ગણાવી હતી જયારે કમોસમી વરસાદથી જમીનમાં વિણાંટ કરવાની બાકી રહી જતી 10 વિઘે 1 ખાંડી મગફળીની વધારાની નુકશાની ગણી શકાય. આમ ચાલું વર્ષે ચોમાસાની અનિયમિતતાના કારણે વિઘે 50 ટકા નુકશાનીનો અંદાજ ગણી શકાય. જેમાંથી ખર્ચ બાદ કરીએ એટલે ખેડૂતોને વિઘે 15000 નુકશાની વધતાં 16000 જેવો ખર્ચ એટલે ફરજીયાત પણે 3000 જેવી રકમનું દેવું કરવું પડે તેવી સ્થિતી વચ્ચે સરકાર તરફથી ખેડૂતોને વિઘે 3500 ની સહાયમાં મળે જે શરમજનક કહીં શકાય આથી ખેડૂતોને લોલીપોપ ગણાવી રહ્યાં છે. આ વખતે મૌસમથી ખૂબ કંટાળ્યાં કેશોદના પાડોદર ગામે સીમ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યાએ ખેતર ધરાવતાં મહેશભાઇ હાજાભાઇ નંદાણિયાએ આ વખતે મૌસમ સાચવવા ખુબ કંટાળો આવ્યો છે તેમ કહી એક જગ્યાએ 9 વિઘામાં 6 ખાંડી મગફળી કમોસમી વરસાથી બચી ગઈ જયારે બીજી જગ્યાએ 9 વિઘાની 6 ખાંડી મગફળી પલળી ગઈ હતી. ચોમાસાની અનિયમિતતા, ઋતુ ફેરફાર, અતિવૃષ્ટિના કારણે ઉત્પાદન ઓછું થયું અને વધુમાં મગફળી ડેમેજ થતાં વિઘે 10 હજારની નુકશાની આવી છે. ઘાસચારાની નુકશાની તો અલગ જ ! આમ ઓછું ઉત્પાદન અને ઘાસચારા સહિત નુકશાની ગણીએ તો 2.5 લાખની નુકશાની સામે જો સરકાર સહાય આપે તો 44000 વળતર મળે જે મનને મનાવવા જેવું કહેવાય. ડેમેજ મગફળી, ઘાસચારાનો સંપૂર્ણ નાશ બમણો ખર્ચ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો ખર્ચ બમણો થયો છે. પાથરા પલળતા મગફળી ડેમેજ થઇ છે. ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો છે. જમીનમાં તૂટી ગયેલી મગફળીનો વિણાંટ ન થતાં મગફળીનો નાશ થવો, કમોસમી વરસાદથી કામગીરી વધતાં મજુરી ખર્ચ ડબલ થવો, પશુઓ માટે ઘાસચારો શોધવા ખર્ચ કરવો પડી રહ્યો હોય સરકાર દ્વારા વિઘે 3500ની સહાયને લોલીપોપ બરાબર હોવાનું બામણાસાના ખેડૂત કરસનભાઈ મેસુરભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
ભાસ્કર યુટિલિટી:પસંદગીના નંબર મેળવવા ઇચ્છો છો ? 17મી સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકશો
જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા તમામ વાહન માટે નોન ટ્રાન્સપોર્ટમાં ટુ-વ્હીલરમાં GJ-11-EA, ફોર વ્હીલર વાહનોમાં GJ-11-DB અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં GJ-11-VV માં બાકી રહેલા નંબરોનું રી- ઓક્શન કરવામાં આવનાર છે. આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તારીખ 14 થી 17 નવેમ્બર સુધીમાં કરવાનુ રહેશે. પસંદગીના વાહન નંબર મેળવવા માટે ઈ-ઓકશન 17 થી 19 નવેમ્બર સુધીમાં થનાર છે. જેમાં ગોલ્ડન કે સિલ્વર નંબર ન મેળવવા હોય તો તેના માટેથી ફીમાં ફોર વ્હીલર વાહનો માટેની રૂપિયા 8000 અને ટુ- વ્હીલર માટેની 2000 રહેશે એમ આરટીઓ અધિકારીએ જણાવ્યુ છે. ગોલ્ડન, સિલ્વર માટે આટલી ફી ગોલ્ડન નંબર 1, 5, 7, 9, 11, 7777, 8888, 9090, 9990 સહિતના ગોલ્ડન નંબર મેળવવા માટે ફોર- વ્હીલર માટેની ફી રૂપિયા 40,000 તેમજ ટુ-વ્હીલર માટેની ફી રૂપિયા 8000 રહેશે. તેમજ સિલ્વર નંબર 2, 3, 10, 81, 90, 700, 2500, 4554, 8055, 8118, 7007 સહિતના માટે ફોર-વ્હીલરની ફી રૂપિયા 15,000 તેમજ ટુ- વ્હીલરની ફી રૂપિયા 3500 રહેનાર છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ શાળા, તાલુકા, જિલ્લા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાએ યોજાશે. આ આયોજનના ભાગરૂપે, જૂનાગઢ જિલ્લા ખેલ મહાકુંભ 2025ની સંપૂર્ણ વિગતો દર્શાવતી માહિતી પુસ્તિકાનું વિમોચન જિલ્લા કલેક્ટર અને ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં રમતો, સ્પર્ધાના સ્થળો, સમયપત્રક, સંપર્ક નંબર અને નીતિ-નિયમો સહિતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તાલુકા કક્ષાની કુલ 7 રમતો – કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ, યોગાસન, રરસાખેંચ અને એથ્લેટીક્સની સ્પર્ધાઓ તા.15 નવેમ્બર દરમિયાન આયોજશે. તેમજ ખેલાડીઓની સુવિધા માટે અને જિલ્લામાં ખેલમય વાતાવરણ સર્જાય તે હેતુથી, જિલ્લા કક્ષાની મહત્તમ 24 રમત સ્પર્ધાઓ તા. 16 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લા મથકે જ યોજાશે.
સીસીરોડ બનશે:830 કરોડનો ખર્ચે બંને બાજુ 6 મીટર પહોળો 3600 મીટરનો રોડ બનશે
સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે અનેક રસ્તા તૂટી ગયા હતા. તેમાં સતત પાણી પડવાથી ડામર રોડ સૌથી વધુ ધોવાઇ ગયા હતા. ત્યારે મનપાએ આર્ટસ કોલેજના ઢાળથી નવા સક્રિટ હાઉસ સુધીનો રોડ સીસીનો બનાવવાનું આયોજન કર્યું છે અને તેના માટે રૂ.8.30 કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ ધોવાઇ ગયા હતા. રસ્તાઓ ઉપર એટલા ખાડા પડી ગયા હતા કે તેના ઉપરથી ચાલવુ પણ મુશ્કેલ બની ગયું હતું. લોકો તોબા પોકારી ગયા હતા. ત્યારે મનપાએ રસ્તા રિપેરીંગની કામગીરી હાથ ધરતા રાહત થઇ હતી. પરંતુ ખાસ કરીને આર્ટસ કોલેજના ઢાળથી નવા સર્કિટ હાઉસ સુધીનો રિવરફ્રન્ટ પાણી ભરાવાને કારણે તૂટી જાય છે. આથી મનપાએ આ રોડ સીસી બનાવવાનો નિર્ણય લીધો છે. બંને બાજુ 6 મીટર પહોળો, 2 લહેરમાં 1 ફૂટની થીકનેશમાં 3600 મીટરનો રોડ બનાવવામાં આવશે. મનપા વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ રસ્તાની નબળી ગુણવત્તાને કારણે રસ્તાઓ ટૂંક સમયમાં જ તૂટી જાય છે. અત્યારે આ જે સીસી બનાવવામાં આવી રહ્યો છે તેનું કામ નિયમ અનુસાર અને મજબૂત થાય તે જરૂરી છે. અને તો જ રસ્તો લાંબા સમય સુધી ટકશે.
નવનિયુક્ત PIએ સંભાળ્યો ચાર્જ:પીઆઈએ પ્ર. પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો
પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ. એમ.વી. પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. અમદાવાદ પાસેના ધોળકા ખાતે 1983માં જન્મેલા એમ.વી. પટેલે એમ.કોમ. સુધી અભ્યાસ કરી 2010માં પી.એસ.આઈ તરીકે જોડાયા હતા.2019માં પી.આઈ. પ્રમોશનથી અમદાવાદ એન્ટીકરપ્શન બ્રાન્ચ, છ વરસ વડોદરા, મોરબી, હળવદ, સોમનાથ મંદિર સુરક્ષા, પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન, ગીરસોમનાથ જિલ્લા એલ.સી.બી.માં પણ ફરજ બજાવી હતી.અને અગત્યના કેસ ઉકેલવામાં સફળતા મેળવી હતી.
ગામ ગામની વાત:ઝાલાવાડની શાન એટલે વજાબાપાનુ ગામ કોઠારીયા ધામ
કોઠારીયા ગામલોકો આમ ખેતી સહિતની મજુરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આ ગામમાં દલવાડી, અનુસૂચિત જાતિ, ઠાકોર, બ્રાહ્મણ, રબારી, નાડોદા રાજપૂત સહિતના સમાજની વસ્તી વસાવટી કરી રહી છે. પરંતુ કોઇપણ ધાર્મિક કાર્યના યજ્ઞમાં આ ગામનો અચૂક ફાળો જોવા મળી રહ્યો છે. તેમાંય વજાબાપાના આશ્રમ થકી થતી અનેક સેવાઓથી ગામનું નામ પણ દેશ-વિદેશમાં ગૂંજી ઉઠ્યુ્ં છે. વઢવાણ તાલુકાના દૂર કોઠારીયા ગામમાં એક સરકારી તેમજ એક ખાનગી એમ ધો. 1થી 10 સુધીના અભ્યાસ માટે કુલ 2 શાળા જ આવેલી છે. તેમ છતાં 10 બાદ કારર્કિદીને ઉજ્જવળ બનાવવા માટે ગામના યુવાનો સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ અભ્યાસ માટે દોટ લગાવી રહ્યા છે. જેના કારણે હાલમાં પણ આ ગામમાં 10 પોલીસકર્મી, તલાટી, આર્મી, રેલવે, શિક્ષક સહિતની જગ્યાઓ પર અંદાજે 30 જેટલા યુવાનો ફરજ બજાવીને ગામનું નામ રોશન કરી રહ્યા છે. બીજી આ ગામની ખાસ વાત એ છે કે, વજાબાપાના અંદાજે 45 વર્ષથી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમની અનેક સેવા થકી ગામની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઇ છે. આ આશ્રમમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોવાથી સવારે શુદ્ધ ઘીનો શીરો, દાળ-ભાત, શાક-રોટલી-રોટલા તેમજ રાત્રે રોટલી, રોટલા, ખીચડી-કઢી અને દૂધ પીરસવામાં આવતા અનેક લોકોમાં આશીર્વાદરૂપ બની રહ્યુ છે. કારણ કે, સવાર-સાંજ દરરોજ 200થી 250 લોકો ભોજનનો લાભ લઇ રહ્યા છે. જ્યારે પારેવાને દરરજો 60 કિલો જુવાર, 60 કિલો કિડીયાળુ પણ સંસ્થાના 6 જેટલા માણસો આજુબાજુના ગામડાઓમાં નાંખવા જાય છે. ગૌશાળાની 1000 ગાયોનું એકપણ ટીંપુય વેચવાનું નહી : દૈનિક 1800 લીટર નિ:શુલ્ક છાશનું વિતરણગામના રોડ પર આવેલી ગૌશાળામાં અંદાજે 1000 ગાયોનો દરરોજ 500 મણ ઘાસચારો,ખોળ, દાણ નાંખીને નિભાવ કરવામાં આવે છે. અને ગાયનું એકપણ ટીંપુય દુધ વેચવામાં આવતું નથી. કારણ કે આ દૂધની છાશ એટલે કે, 700 લીટર દૂધમાંથી અંદાજે 1800 લીટર છાશ નિ:શુલ્ક સવારે 7.30થી 8.30 કલાક સુધીમાં લોકોને આપવામાં આવે છે. જેનો આજુબાજુના ગામડાના લોકો લાભ લઇ રહ્યા છે. દૈનિક 20 મણ બાજરાના રોટલાનું વિતરણઆશ્રમમાં 15થી 16 બહેનો દ્વારા 4000થી 4500 રોટલાનું વિતરણ કરી દેવામાં આવે છે. આ રોટલા રિક્ષાચાલક તેમજ સાઇકલસવાર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પહોંચાડે છે. આ ઉપરાંત વઢવાણ, સુરેન્દ્રનગર જોરાવરનગર, રતનપર, જીઆઇડીસી વિસ્તારોમાં વૃદ્ધો, દિવ્યાંગો, સાધુ-સંતો, અંધજનો સહિતના જરૂરીયાતમંદ લોકો સુધી આ રોટલો પહોંચી રહ્યો છે. ગામની વિગત
મંડે પોઝિટીવ:કેશોદ પંથકમાં નિરાધાર બળદોની સેવા માટે આશ્રમ શરૂ કરવામાં આવ્યો
કેશોદ પાલિકા હદમાં માંગરોળ રોડ પર સમ્રાટ તરીકે ઓળખાતાં વિસ્તારમાં જિલ્લામાં સૌપ્રથમ વખત નિરાધાર બળદ સાચવવા ગૌસેવકો દ્વારા 400 બળદની જાળવણી થાય તે પ્રકારે બે શેડ ઉભા કરી બળદ આશ્રમની સ્થાપના કરવામાં આવી છે. આ બળદ આશ્રમમાં જાહેર જગ્યાએ નિરાધાર સ્થિતિમાં રખડતાં ભટકતાં અશકત કે જેને ખોરાક મળતો ન હોય તેને સાચવવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ આ બળદ આશ્રમમાં 365 જેટલાં નિરાધાર બળદની ગૌસેવકો મારફત સાચવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર જણાય તો દર મહિને કાર્યકરો આશ્રમનું વાહન લઈ ચારેય દિશામાં ચક્કર લગાવે છે અને જો તેમને લાગે કે ઇજાગ્રસ્ત કે અશકત લાગતાં બળદ લઈ જવો છે તો બળદને આશ્રમ ખાતે લાવી તેની સેવા ચાકરી શરૂ કરી દેવામાં આવે છે. આ માટે શહેરના વેટ૨નરી ડોકટરોની મદદ મળી રહી છે. દવાની પુરી વ્યવસ્થા છે. આશ્રમમાં આવેલાં બળદ માટે 3 મહિના માટે ચાલે તેટલો જુનો ચારો ગોડાઉનમાં જમા છે અને વધુ ઘાસચારો આવકમાં હોય પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રમને થતાં ખર્ચા સિવાય રોકડ રકમ હાથ પર રાખવામાં આવતી નથી. બળદ આશ્રમમાં પાણીના બોરની વ્યવસ્થા હોય બળદને પુરતું પાણી આપવામાં આવી રહ્યું છે. બળદ આશ્રમ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચોચા, ઘનશ્યામભાઈ લુક્કા, રાકેશભાઈ ગરેજા, પિન્ટુભાઇ ગજેરા, મીત સોલંકી સહિતનાઓએ સેવા કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા અને જુદા જુદા સુરત, અજાબ, કેશોદ સહિતના વિસ્તારમાં 25 જેટલાં ગૃપ દાત્તારૂપે મદદ કરતાં આ બળદ આશ્રમમાં બળદની હેરફેર કરવા એક વાહન વસાવવામાં આવ્યું છે. બળદ આશ્રમ માટે ઘાસચારો લઈ આવવા વધુ એક મોટા વાહનની જરૂરિયાત હોય દાત્તા તરફથી ઓફર કરવામાં આવતાં સમય આવ્યે મોટા વાહનની વ્યવસ્થા કરાશે. જુનાગઢ જીલ્લામાં સૌ પ્રથમ વખત બળદને સાચવવા આવા પ્રકારની સેવાને રાજયભરમાં બિરદાવવામાં આવી રહી છે.
માર માર્યો:માણાવદરમાં માતા, પુત્રને માર માર્યો
માણાવદરના બાંટવા પાસેના કોડવાવ ગામે રહેતા દીપકભાઈ પરમારના ઘર પાસે કોઈએ કચરો તેમજ પાણી ઢોળેલ હોય જેથી તેમણે ઘર બહાર નીકળી આજુબાજુ વાળાને પૂછ્યું હતું પરંતુ આ દરમિયાન શેરીમાં રહેતા બાબુભાઈ સોંદરવાએ આવી ઉશ્કેરાઈ જઈને લાકડા વડે દિપકભાઈને માર મારતા દોડી આવેલા તેના માતા કાંતાબેનને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત માતા, પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફત માણાવદર ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બાટવા પોલીસે ઘટનાને લઈને પાડોશી શખ્સ સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
જુગારીઓ રંગેહાથ ઝડપાયા:ગૌચરમાં મોબાઈલ ફોનની લાઈટના અંજવાળે જુગાર રમતા 15 પકડાયા
દરસાલીની સીમમાં પોલીસે રેઇડ પાડી ગૌચરમાં મોબાઈલ ફોનની લાઈટના અંજવાળે જુગાર રમતા 15 શખ્સોને પકડી પાડી રોકડ, મોબાઈલ સહિત 1.88 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. માંગરોળ તાલુકાના દરસાલી ગામની સીમમાં ધાર વિસ્તાર ઘંસારી જવાના રસ્તાની બાજુમાં આવેલ ગૌચરમાં મોબાઈલ ફોનની લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા મોડી રાત્રે શીલ પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહીમાં માંગરોળના શાપુરનો કિરણ બાબુભાઈ પરમાર, કેશોદના પંચાળા ગામનો દેવાયત માંડાભાઈ ચુડાસમા, કેશોદ નો ઈર્શાદ ઈબ્રાહીમ મહિડા, લતીફ બાવામિયા કાજી, અગતરાય ગામનો અલ્તાફશા ઉમરશા સર્વર્દી, માંગરોળના ચંદવાણા ગામનો ઉમેશ દિલીપભાઈ મોકરીયા, મેણેજ ગામનો મહેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ, આંત્રોલીનો લીલા સીદીભાઈ કેશવાલા, અજીત ઉર્ફે હોઠો નાથાભાઈ ઓડેદરા, અરજણ રાજશીભાઈ કેશવાલા, પંચાળાનો હંસરાજ હીરાભાઈ ચુડાસમા, તાલાલાનો મહેન્દ્ર રાજાભાઈ પરમાર, માંગરોળનો મહેશ દેવશીભાઈ મકડીયા, જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતો લખન ભનુભાઈ પરમાર, માંગરોળ નો પ્રવીણ ગોવિંદભાઈ પરમાર સહિત 15 શખ્સને જાહેરમાં જુગાર રમતા પકડી લીધા હતા. ખેલીઓ પાસેથી રૂપિયા 1,03,830ની રોકડ રકમ, 14 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,88,730નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતાને અપાયો ત્રાસ:પતિના અન્ય મહિલા સાથેના સંબંધનો વિરોધ કરતા મારકુટ કરી
ગઈ તા. 24 ઓક્ટોબરથી જૂનાગઢ ખાતે પિયરમાં રહેતા 25 વર્ષીય રેખાબેને જામનગર જિલ્લાના ગઢકડા ગામે વાડી વિસ્તારમાં રહેતા પતિ માલદે મોઢવાડિયા, સસરા ગોગનભાઈ વેજાભાઈ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, સંતાનમાં બે બાળકો છે. બંને બાળકો પતિ પાસે છે. પતિને વાડીમાં કામ કરતી મહિલા સાથે સંબંધ હોય જેનો વિરોધ કરતા વિરોધ કરતા પતિ તથા સસરાએ વારંવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારતા હતા. તેમજ જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. દોઢ મહિના પહેલા બંને બાળકો સાથે પિયરમાં ગઈ હતી ત્યારે પાછળથી પતિએ દારૂ પીધેલી હાલતમાં આવી ઝઘડો કરી પૈસાની માગણી કરતાં પોલીસને જાણ કરતા તેને લઈ ગઈ હતી. સમાધાન કરી ગયા બાદ ગત તા. 21 ઓક્ટોબરના રોજ પતિને વાડીમાં કામ કરતી મહિલા સાથેના સંબંધ મુદ્દે માર મારતા સાસુએ જામનગર સારવારમાં ખસેડી હતી. સાસરીયા મારી નાખશે એવી બીકથી ભાઈએ ફોન કરતા પોલીસ આવી હતી અને પરિણીતાને પોલીસ સ્ટેશન પર લઇ જઈ પિયરને સોંપી દીધી હતી.
દારૂની હેરાફેરી ઝડપાઈ:દોલતપરા પાસેથી બાંટવાના 2 યુવક 4.48 લાખના દારૂની હેરફેર કરતા પકડાઈ ગયા
દોલતપરા પાસેથી ક્રાઈમ બ્રાન્ચે બાંટવાના 2 યુવક 4.48 લાખના દારૂની હેરફેર કરતા પકડી પાડી બાઇક સહિત 5.21 લાખનો મુદામાલ કબજે લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ રવિવારે બપોરે પેટ્રોલિંગમાં હતો. જૂનાગઢમાં દોલતપરા પાસે નાયરા પેટ્રોલ પંપની સામે આવેલ સુરજ એગ્રો તરફ જવાના રસ્તા પર બાંટવાનો ભરત ભીખુ કોડીયાતર તથા પરબત કાળુ ભારાઈ દારૂનો જથ્થો બોક્સ પેકિંગમાં મંગાવી હેરફેર કરતા હોવાની બાતમી મળતા સ્ટાફ ધસી ગયો હતો. પોલીસને જોઈ બાઈક લઈને 2 શખ્સ પૂઠાંની પેટીઓ હેરફેર કરતા જોવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં ભરત ભીખુ તેમજ પરબત કાળુને રૂપિયા 4,48,800ની કિંમતના ઇંગ્લિશ દારૂની 1440 બોટલ સાથે ઝડપી લીધા હતા અને જીજે 11 સીએમ 7409 નંબરનું બાઈક તેમજ 2 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 5,21,800નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પૂછપરછમાં દારૂનો જથ્થો ગોવાના રવિ ઘોડાસરા નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવતા તેની સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
મંડે પોઝિટીવ:ઝાલાવાડમાં ફૂલોનું વાવેતર 5 વર્ષમાં 35 હજાર હેક્ટરમાં વધ્યું
ઝાલાવાડના ખેડૂતો ઉત્તમ કપાસના ઉત્પાદનની સાથે કૃષીના ક્ષેત્રમાં નીત નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. અહીયાના ખેડૂતોએ ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુ જેવી ખેતી કરીને સારૂ ઉત્પાદન મેળવીને ડંકો વગાડયો છે ત્યારે હવે જિલ્લાના ખેડૂતો ફુલોની ખેતી કરીને સારૂ ઉત્પાદન મેળવતા થયા છે.જિલ્લામાં 121 હેકટરમાં ફુલની ખેતી કરીને ખેડૂતોએ 959 મેટ્રીક ટન ફુલનું ઉત્પાદન મેળવીને ખેતીને નવી દિશા આપી છે. ખેડૂતોને ખર્ચ દીઠ સહાય ચૂકવાય છે ફુલોની ખેતી માટે સરકાર તરફથી સહાય મળે છે. દાંડી ફુલોને 2 હેક્ટરની મર્યાદામાં યુનીટ કોસ્ટ 1 લાખ હેક્ટરે નાના ખેડૂતોને 40 ટકા મહતમ હેક્ટરે રૂ.40 હજાર. કંદ ફુલો ઉગાડનારને 2 હેક્ટરની મર્યાદામાં યુનિટ કોસ્ટ 1.50 લાખ હેક્ટર દીઠ નાના ખેડૂતોને 40 ટકા મહતમ 60 હજાર હેક્ટર દીઠ, છુટા ફુલોની ખેતીમાં 2 હેક્ટરની મર્યાદામાં યુનિટ કોસ્ટ 40 હજાર હેક્ટરે નાના ખેડૂતોને 40 ટકા મહતમ 16000 હેક્ટરે અન્ય ખેડૂતોને ખર્ચના 25 ટકા મહતમ. > એમ.બી.ગાલાવાડિયા, નાયબ બાગાયત નિયામક ગુલાબ અને ગલગોટા માટે વાતાવરણ અનુકૂળગુલાબ અને ગલગોટા આ બંને ફૂલો બારેમાસ ઊગેે છે. જિલ્લાની જમીન આ બંને ફુલો વાવેતર માટે અનુકૂળ છે. સારા વાવેતર માટે નિયમિત ખાતર પાણી આપતા રહેવું જોઈએ જેથી ફૂલના છોડ આસપાસ નિંદામણ દૂર કરતા રહેવું જોઈએ જેથી ઉત્પાદન સારું થાયહાલ ફૂલોની ધાર્મિક, સામાજિક કાર્યક્રમો મંદિરોમાં સારી એવી માંગ રહે છે. આ ફૂલોને સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી રાજકોટ અમદાવાદ ફૂલ બજાર સહીત વેચાણ થતું હોય છે. આથી વાવેતર વધ્યું હોઈ શકે. > જનકભાઈ કલોદરા નિવૃત્ત ખેતીવાડી અધિકારી
ભાસ્કર ફોલોઅપ:સગર્ભા વહુ, પુત્રના હત્યા કેસમાં આરોપી માતાને નડિયાદ ખાતે લઈ જઈ તપાસ
શોભાવડલા ગામના પુત્ર, વહુ હત્યા કેસમાં આરોપી માતાને પોલીસે નડિયાદ લઈ જઈ તપાસ હાથ ધરી હતી. વિસાવદર તાલુકાના શોભાવડલા (લશ્કર) ગામની સીમમાં કાના વડલાના પાટીયા નજીક ખોડીયાર માતાજી મંદિરે ગઈ તા. 16 ઓક્ટોબરના રોજ સગીરે પ્રથમ તેના મોટાભાઈ શિવમગીરી અજયગીરી દશનામી લોખંડના પાઇપ મારી હત્યા કરી હતી અને બાદમાં સગર્ભા ભાભી પર દુષ્કર્મ કરી પેટ પર ગોઠણ દબાવી 6 માસના બાળકને બહાર કાઢી નાંખી લોખંડના પાઇપથી માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી બાદમાં બંનેની લાશ મકાનના ઢાળીયામાં ખાડો કરી દાટી દીધી હતી. આ કેસમાં પોલીસે સગીર અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર આરોપીની માતા વિભાબેન ઉર્ફે બિરમાદેવીને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી હતી. એએસપી રોહિત ડાગરના માર્ગદર્શનમાં ઇન્ચાર્જ વુમન પીઆઈ એસ. એન. સોનારાએ આરોપી મહિલાની ધરપકડ કરી તા. 10 નવેમ્બર સુધી 6 દિવસના રિમાન્ડ પર મેળવી સગીર દીકરાની સાથે રહી સગર્ભા વહુ, પુત્રની કરી કે પુરાવાનો નાશ કર્યો સહિતના મુદે પૂછપરછ હાથ ધરી હતી અને સગીર આરોપીને બાળ સુધારણા કેન્દ્ર રાજકોટ ખાતે મોકલી આપ્યો હતો. આ કેસમાં આરોપી મહિલાને નડિયાદ લઈ જઈ ત્યાં તેની હાજરી અંગે તપાસ હાથ ધરી હતી. આમ, મહિલાનાં સોમવાર સુધીનાં રિમાન્ડ મંજુર થયા હતા.
ભાસ્કર ઈન્સાઈડ:મોટી મોલડીમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યા, પુત્રની ખનીજ ચોરીનો પર્દાફાસ
ચોટીલા તાલુકાના મોટી મોલડી ખાતે દરોડો પાડીને તાસના ખનીજ ચોરીનો પર્દાફાસ કરી રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અહીયા મહત્વની બાબત એ છે કે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને તેમનો પુત્ર આ ખોદકામ કરતા હોવાની વિગતો સામે આવી હતી. ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે ખનીજ ચોરી થતી રસ્તો બનાવવા ખોદકામ કરતા હોવાનું કહે છે અમારી ટીમ જયારે દરોડો કરવા ગઇ ત્યારે ખોદકામ ચાલુ હતુ. ખોદકામ સરકારી જમીન માં થતુ હતુ. લીઝ સહિતના કાગળો માંગ્યા પરંતુ કોઇ પુરાવા આપ્યા ન હતા. આ તાસનું ખોદકામ રસ્તો બનાવવા માટે કરતા હોવાનું જણાવ્યુ હતુ.તેનો કયા ઉપયોગ કરતા હતા તેની તપાસ ચાલુ છે. > એચ.ટી.મકવાણા, પ્રાંત અધિકારી વધુ નફો કમાવવા માટે કપચીમાં તાસ ભેળવાય છેજિલ્લામાં કપચીનો ખૂબ મોટો વ્યવસાય છે. વર્તમાન સમયે કપચીના ધંધામાં ગળાકાપ હરીફાઇ થઇ ગઇ છે. એક ટન કપચીનો ભાવ અંદાજે રૂ.1200 જેટલો હોય છે.ત્યારે આ તાસનો એક ટનનો ભાવ અંદાજે રૂ.400 જેટલો હોય છે. તાસ કપચી જેવી જ દેખાય છે. તેને કપચીમાં ભેળવી દેવામાં આવે છે. 40 ટન કપચી ભરેલા ડમ્પરમાં 5થી 6 ટન તાસ નાખી દો તો કોઇને ખબર પડતી નથી.
પ્રભાસ પાટણ ઘેડીયા કોળી સમાજ મોટા કોળીવાળા દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું. રામદેવજી મંદિરની બાજુમાં મોટા કોળી વાળા ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં કોમ્પ્યુટર ક્લાસીસ તથા લાઇબ્રેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના દીકરા દીકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા તેમજ સમાજના વિદ્યાર્થીઓ વાંચનની ટેવ વિકસાવી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને આ સુવિધાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થઈને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને અને ભાવિ પેઢી માટે પ્રેરણા સ્તોત્ર બને તેવો હેતુ રખાયેલ છે. આ સમારોહમાં સમાજના આગેવાનો સમાજના નાગરિકો બહોળા સમુદાયમાં ઉપસ્થિત રહી સમાજના આ પગલાંને બિરાદાય્યુ હતું. પ્રભાસ પાટણ મોટા કોળીવાડા ખાતે કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારો યોજાયો હતો. જેમા 385વિધિઓનું સન્માન થયું હતું. સમસ્ત ઘડિયા કોળી સમાજ મોટા કોળી વાળાના પ્રમુખ દિનેશભાઈ બામણીયા, કોળી સમાજના કમલેશભાઈ વાસણની આગેવાની હેઠળ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ લાયબ્રેરી અને કોમ્પ્યુટર ક્લાસીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સાળંગપુરથી આર્યન ભગત, રામભાઈ એ. ચૌહાણ, કાનભાઈ બામણીયા, પ્રભાસપાટણ પી. આઈ. પટેલ, ભીડિયા કોળી સમાજના પ્રમુખ જેન્તીભાઇ સોલંકી, ઉપપ્રમુખ ભીખાભાઇ ગઢીયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, રાજુભાઇ ગઢીયા, રામભાઈ સોલંકી, ઉકાભાઇ ગઢીયા, પુંજાભાઈ ગઢીયા, પરબતભાઇ બામણીયા સહિત સ્થાનિક તેમજ બહારથી આગેવાનો પધારેલ હતા અને સન્માન બાળકોને પ્રોત્સાહિત કરી સતત આગળ વધાવા જણાવ્યું હતું.
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે 9 નવેમ્બરના રોજ સ્કેલ્સ એન્ડ સ્માઇલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં સરિસૃપો પ્રત્યે જાગૃતિ અને રુચિ પેદા કરવાનો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 60થી વધુ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષમતા ગાયકવાડ, સક્કરબાગના બાયોલોજિસ્ટ મહેક રાવલ અને રવિ પટેલ દ્વારા સરિસૃપો અને પરિસર તંત્રને લગતી પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી. બાળકોને પ્રાણીસંગ્રહાલય અને સક્કરબાગ જંગલ સફારીની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. અંતે, બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નિયામક રાજદીપ ઝાલા, આરએફઓ નિરવકુમાર મકવાણા અને સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું.
બેઠક:સોમપુરા બ્રાહ્મણ સમાજની બેઠક મળી
વેરાવળ ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજની મિટિંગનું સોમનાથ બ્રહ્મપુરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગનો મુખ્ય હેતુ 7 ડિસેમ્બરે બ્રહ્મસમાજનુ મહાસંમેલનનુ આયોજન થઈ રહ્યું છે. તે સંદર્ભે બધા જિલ્લાના પ્રવાસે રાજકોટથી મિલનભાઈ શુકલ અને તેની ટીમના પ્રવાસ કરી રહી છે. તે ગીર સોમનાથ ખાતે આવેલા 7 ડિસેમ્બરે બ્રહ્મ સભાની રૂપરેખા અને જિલ્લાભરમાંથી વધુ ભૂદેવ પહોંચે તેવું આયોજન જિલ્લાના ભૂદેવોને આહવાન કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, તાલાળા અને કોડીનાર તાલુકાના આગેવાનો અને મિલનભાઈને ખાતરી આપી હતી. કે, ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભૂદેવ રાજકોટ મહાસંમેલન પધારશે. આ મીટીંગનું આયોજન ગીર સોમનાથ પ્રમુખ તુષારભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ મૂક્તિ દિન:બહાઉદ્દીન મેદાનમાં આતશબાજી, ભાસ્કર આયોજીત સૂર સંધ્યામાં હજારો નાગરિકો જોડાયા
9 નવેમ્બરના રોજ જૂનાગઢ મુક્તિ દિવસ નિમિતે દિવ્ય ભાસ્કર અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંજે 8:30 કલાકે બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ પર આતશબાજી તેમજ શૌર્ય, સંસ્કૃતિ અને સાહસની થીમ પર સંગીત સંધ્યાનુ આયોજન કરાયુ હતુ. જેમાં એક જ સ્ટેજ પર 20 જેટલા નામાંકિત કલાકારોએ પોતાની શૈલીમાં લોકગીત, દેશ ભક્તિ ગીત, ગઝલો રજૂ કરી શહેરીજનો સંગીતના તાલે ઝૂમાડ્યા હતા. શહેરીજનો માટે ગાંઠીયા ઉત્સવનુ આયોજન કરાયુ હતુ જેમાં લોકોએ મનમુકીને ગાંઠીયાનો આનંદ પણ માણ્યો હતો. સંગીત સંધ્યામાં વિપુલ ત્રિવેદી, ધર્મેશ નાણાવટી, હેમલ નાણાવટી, શીતલ નાણાવટી, ખુશાલી બક્ષી, દર્પિત દવે, પાર્થ હિંડોચા, ધ્વનિત ત્રિવેદી, હર્ષ ઠાકર, નિષ્ઠા નરસાણા, લબ્ધી ભટ્ટ, મયુર પારેડી, નફીસ દરોગા, રાજુ રીધમ, ચિંતન બુચ, જપન બક્ષી, વિરલ મારૂ, આદિત્ય ત્રિવેદી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુ સોનપાલ અને નિશા નાણાવટીએ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતુ.
ભાસ્કર ઈન્સાઈડ:વ્યાજે પૈસા લઈને મજૂર-ખાતર વાળાને આપ્યા
ભરૂચ જિલ્લામાં માવઠાને 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. જેમાં ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું તે શિવાય કપાસ, તુવેર અને સોયાબીન ના પાકને નુકસાન પહોંચ્યું હતું. જેથી ખેડૂતોએ સહાય માટે ગુહાર લગાવી હતી જેથી સરકારે રૂપિયા 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયથી કેટલાક ખેડૂતો માં અસંતોષ તો કેટલાક ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં અંદાજે 1 લાખથી વધુ ખેડૂત ખાતેદાર ને નુકશાન થયાનું સામે આવ્યું છે. માવઠાને કારણે ડાંગર પાક મોટાભાગના ખેડૂતોનો નષ્ટ થઈ ગયો છે. હવે ખેડૂતોને માવઠાના કારણે પૈસા ખર્ચીને તૈયાર કરેલો પાક નષ્ટ થયા બાદ હવે તેને ખેતર માંથી બહાર કાઢવા, ખેતરને સાફ કરવા માટે પણ નવો ખ ર્ચ લાગશે તો ખેડૂત ફરી કેવી રીતે ઊભો થઈ શકે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે ભાસ્કરની ટીમે કેટલાક ખેડૂતો પાસે સહાય પૅકેજ ને લઈને સવાલ કરતાં કેટલાક ખેડૂતો ના ખુશ તો કેટલાકને સંતોષ થયો હોવાનું જાણવા મળ્યું હતું. નવેસરથી ખેતી કરવા માટે પૈસા નથી મારા 2 એકરમાં કપાસ અને તુવેરમાં નુકશાન થયું છે. હવે નવેસરથી ખેતી કરવા માટે પૈસા પણ નથી ત્યારે હવે ખેતી કેવીરીતે કરવી તે પણ સમજાતું નથી. સરકારે સહાય પેકેજ માં વધારો કરે તો તેના રકમથી ફરી ખેતી કરી શકશે પણ હાલ કરે જાહેરાતથી ખેડૂત પાછો ઊભો થઈ શકે તેમ નથી. વિનોદ વસાવા, ખેડૂત 10 હજાર કરોડની સહાયનું પેકેજ સારામાં સારુ છેચાલુ વર્ષે 6 મહિના સુધી ખૂબ વરસાદ પડ્યો છે.જેમાં ડાંગર, કપાસ અને મગફળી સહિતને ખૂબ નુકસાન થયું છે, તેની સામે સરકારે સહાય પેકેજ જાહેર કરીને બહુ સારું કર્યું છે. 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતો માટે સારામાં સારું છે. એ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું.- ગેમલસિંહ પટેલ, હાંસોટ વ્યાજે પૈસા લઈને ખાતર વાળા-મજૂરને પૈસા આપ્યામારે ડાંગર સહિત કપાસ મળી 10 એકર જેટલા વિસ્તારમાં ખેતી પાકમાં નુકશાન થયું છે. 26 હજાર એકરે અંદાજે ખર્ચ થાય છે ત્યારે સરકાર હેકટરે રૂપિયા 50 હજાર આપે તો ખેડૂત ઉભો થઈ શકે. વ્યાજે પૈસા લઈને મજૂર તેમજ ખાતર વાળા ને આપી દીધા હવે ઘર કેવી રીતે ચલાવવું સમજાતું નથી.- અજય પટેલ, ખેડૂત ડાંગર પાક તૈયાર કરવા અને ખેતર સાફ કરવા આટલો ખર્ચ થશેજિલ્લાના ખેડૂતોએ સરકારનું રાહત પેકેજ આવકાર્યું છે સરકાર અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી રાહત આપી છે. ગુજરાતમાં ખુબ સારો નિર્ણય લેવાયો છે. 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બે હેક્ટર જમીન દીઠ રૂ. 44 હજાર માટે સહાય આપવામાં આવશે જેને ભરૂચ જિલ્લાના દરેક ખેડૂત મિત્રોએ આવકાર્યું છે. જમયલ પટેલ, ખેડૂત જિલ્લાના ખેડૂતોએ સરકારનું રાહત પેકેજ સ્વીકાર્યું છેખેડૂતના જણાવ્યા મુજબ ડાંગરનો પાક તૈયાર કરવા રોપણી થી, ખાતર, દવા ને મજૂરી સહિતનો ખર્ચ અંદાજે એક વીંઘે 12 થી 15 હજાર થાય છે. જે માવઠાને કારણે ડાંગરના પાકને નુકસાન થતાં હવે ખેતરને સાફ કરવા માટે ખેડૂતોએ વધુ ખર્ચ કરવો પડશે જેમાં અંદાજ ડાંગર પાક ખેતર માંથી સાફ કરવા માટે વીંધે 2 હજાર રૂપિયા જેટલાનો વધુ ખર્ચ કરવો પડશે. જેથી આ માવઠાનો માર બાદ ખેડૂતોને પાછું ઊભું થવું મુશ્કેલ બનશે.
આયુર્વેદથી ચમત્કાર:વૃદ્ધને ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને સાઇટિકાની બીમારીમાં આયુર્વેદ સારવારથી મુક્તિ મળી
નગરમાં રહેતા વૃદ્ધને ઓસ્ટોઓ આર્થરાયટીસ અને સાઇટીકાની બિમારીથી પીડાતા હતા. આથી વૃદ્ધ ચાલી શકતા નહી હોવાથી પારાવાર હાલાકી વેઠી રહ્યા હતા. ત્યારે વૃદ્ધને બિમારીમાંથી મુક્ત થવા સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પંચકર્મ આયુર્વેદ નિદાન અને સારવાર કરવામાં આવતા વૃદ્ધ ચાલતા પોતાના ઘરે ગયા હતા. આયુર્વેદ સારવાર અને નિદાન આપણા વેદોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ બિમારીનો રામબાણ ઇલાજ આયુર્વેદ સારવાર અને નિદાન પદ્ધતિ હોવાનો ઉલ્લેખ આયુર્વેદશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે નગરના વૃદ્ધને ઓસ્ટીઓ આર્થરાયટીસ અને સાઇટીકાની બિમારીને આયુર્વેદ પદ્ધતિથી દુર કરવામાં આવી છે. આ અંગે નગરના સેક્ટર-22માં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું છે કે નગરમાં રહેતા 73 વર્ષથી વડિલને છેલ્લા એકાદ વર્ષથી ઓસ્ટોઓ આર્થરાયટીસ (ઢીંચણનો ઘસારા)ની બિમારીના કારણે ચાલવામાં ઘણી જ તકલીફ થતી હતી. તેમાં વૃદ્ધને સાઇટીકાની બિમારી થતાં તેઓ લાકડી કે વ્યક્તિના ટેકા વિના ચાલી શકતા નથી. ત્યારે ઢીંચણના ઘસારા અને સાઇટીકાની બિમારીમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદ નિદાન સારવાર માટે સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જવાની સલાહ મળી હતી. આથી વૃદ્ધને સેક્ટર-22ની આયુર્વેદ હોસ્પિટલમાં આવતા તેઓનું નિદાન અને સારવાર કર્યા બાદ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા.
માવઠાની મોકાણ:જિલ્લાના 47000 ખેડૂતોના 28291 હેક્ટરના ખરીફ પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું
કમૌસમી વરસાદથી જિલ્લાના 28291 હેક્ટરમાં ખરીફ પાકને નુકશાન થયું હોવાથી 47000 ખેડુતો અસરગ્રસ્ત થયા હતા. ત્યારે રાજ્ય સરકારે પ્રતિ હેક્ટરે 22000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાંય પ્રતિ ખેડૂતે માત્ર બે હેક્ટર નુકસાનીનું વળતર આપવામાં આવશે. ત્યારે ખેડૂતોએ પાકમાં થયેલા નુકશાનના વળતર માટે અરજી કરવાની રહેશે. કે પછી સર્વે કરાયો તેના આધારે વળતર ચુકવાશે સહિતના પ્રશ્નો ખેડુતોના મનમાં ઉઠી રહ્યા છે. શિયાળાની શરૂઆત પહેલાં ખેતરમાં તૈયાર ખરીફ પાક મગફળી, ડાંગર, મગ, અડદ, કપાસ પાકની કાપણી કરીને સુકવણી માટે ખેતરમાં પથારા કરવામાં આવ્યા હતા. ત્યારે પડેલા કમૌસમી વરસાદથી ખેતરમાં સુકવણી માટે પથારા કરેલા મગફળી, ડાંગર, મગ, અડદ પાકના પલળી જવાથી તેમાં ફુગ અને અંકુરણ ફુટી જતા ખેડુતના હાથમાં આવેલો કોળિયો છિનવાઇ ગયો હતો. ત્યારે જિલ્લાના ગ્રામ સેવકોની કુલ-91 ટીમો બનાવીને જિલ્લાના 288 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેમાં કુલ-28291 હેક્ટરમાં મગફળી, ડાંગર, મગ, અડદ, તલ, કપાસ સહિતના પાકમાં નુકશાન થયું હતું. સરકાર દ્વારા કમૌસમી વરસાદથી ખરીફ પાકમાં થયેલા નુકશાનના વળતર પેટે પ્રતિ હેક્ટરે રૂપિયા 22000નો ખર્ચ આપવામાં આવશે. તેમાંય પ્રત્યેક ખેડુતને વધુમાં વધુ બે હેક્ટર નુકશાનનું જ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં 28291 હેક્ટરમાં થયેલા ખરીફ પાકને નુકશાનથી અસરગ્રસ્ત 47000 ખેડુતો થયા છે. જોકે ખરીફ પાકને થયેલા નુકશાનનું વળતર ખેડુતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવનાર છે. પરંતું તેના માટે સર્વે કરેલા તેના આધારે ખેડુતોને વળતર આપવામાં આવશે. કે પછી ખેડુતોએ ખરીફ પાકના નુકશાન માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીમાં કઇ કઇ બાબતો સામેલ કરવી જેમ કે સાત બારના ઉતારાની નકલ, પાણી પત્રક સહિતની મુંઝવણ ખેડુતોમાં સતાવી રહી છે. ખરીફ પાકના નુકશાનનું વળતર આપવાની જાહેરાત કર્યા બાદ વળતર કેવી રીતે ખેડુતને મળશે તે અંગે કોઇ જ નક્કર નિર્ણય લેવામાં નહી આવતા ખેડુતોની મુંઝવણ વધી જવા પામી છે. ખેડૂતોને વળતરની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરાશે : જિલ્લા ખેતી અધિકારીકમૌસમી વરસાદથી ખેડૂતોને તૈયાર ખરીફ પાક પલળી જવાથી નુકસાન થયું છે. જોકે રાજ્ય સરકારે નુકસાનના વળતરની જાહેરાત કરી છે. તો વળતર ખેડૂતોએ કેવી રીતે મેળવવાનું તે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પરાગ કેવડિયાને પુછતા જણાવ્યું છે કે જોકે ખરીફ પાકનું કેટલું વળતર ચુકવવું તેની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પરંતું વળતર ખેડૂતોને કેવી રીતે ચુકવવું તેની ગાઇડ લાઇન રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે.
વીજપોલ બન્યો અડચણરૂપ:સરગાસણના ફાયર સ્ટેશનમાં સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ વીજ પોલ
પાટનગરનો વિસ્તાર વધતા નવા 3 ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેમાં રાંધેજા, ભાટ અને સરગાસણનો સમાવેશ થાય છે. રાંધેજા અને ભાટમાં હાલમાં કામગીરી ચાલુ છે, જ્યારે સરગાસણનુ ફાયર સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગત 17 મેના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ મુલાકાત લઇ આવ્યા છે. જોકે, તેમના ધ્યાનમાં ફાયર સ્ટેશનના પ્રવેશદ્વાર ઉપર જ અડચણરૂપ થતો વીજ પોલ આવ્યો તે વાત અલગ છે. ફાયર સ્ટેશનની વચ્ચે જ વીજ પોલ આવ્યો હોવાના કારણે આગના બનાવમાં ઝડપભેર જતા વાહનને હળવેકથી લઇને નિકળવુ પડે છે, થોડા સમય પહેલા તો વીજ પોલનો વાયર વાહન સાથે ભરાઇ ગયો હતો, સદ નશીબેન કોઇ જાનહાનિ સામે આવી ન હતી, તેમાં ભગવાનનો પાળ માનવો જોઇએ. મહત્વની બાબત એ છેકે, ઓપનિંગ કરવામાં અધિરા બનતા નેતાઓ અને અધિકારીઓને જોઇને પણ ખ્યાલ આવ્યો નથી કે, આ વીજ પોલ કેટલો નુકશાનકારક બની શકે છે ? હાલ તો કરોડોના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન આગળનો વીજ પોલ સોનાની થાળીમા લોઢાની મેખ જેવો જોવા મળી રહ્યો છે. જોકે, તેને હટાવવો કે રહેવા દેવો જોઇએ, તે અધિકારી અને પદાધિકારીઓએ વિચારવુ રહ્યુ,
સાઇકલ યાત્રા:150 સાઇકલ સવારો દ્વારા 4480 કિમીની યાત્રા કરીને એકતાનો સંદેશો અપાશે
દેશની એકતા અને અખંડિડતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતીના અવસરે શ્રીનગરથી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 150 સાયકલ સવારો કુલ 4480 કિમીનું અંતર કાપશે. તેઓ ગોધરાથી 145 કિમીનું અંતર કાપીને કેવડિયા આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં 2019માં ફીટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય આશય દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. લોકોના સ્વાસ્થય અને દેશની એકતાના સમન્વય સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 150 સાયકલ સવારો ગોધરાથી 145 કિમીનું અંતર કાપીને કેવડિયા આવી પહોંચ્યાં હતાં. જયાં તેઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇ અભિભૂત થયાં હતાં. તેઓ કુલ 4480 કીમીની સાયકલયાત્રા કરી શ્રીનગરથી કન્યાકુમારી પહોંચશે. તેમની યાત્રા દરમિયાન તેઓ લોકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ,એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે. નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલે તમામ સાયકલસવારોને આવકાર્યા હતાં.
ચપ્પાથી હુમલો:રૂપાલમાં તમે પ્રેમલગ્ન બાબતે કેમ ચર્ચા કરો છો કહી યુવકને ચપ્પુ માર્યું
ગાંધીનગરના રૂપાલ ગામમાં પ્રેમલગ્ન બાબતની ચર્ચા કરતા પરિવાર ઉપર કુટુંબી ભત્રીજાએ ઘરે આવીને પરિવાર સાથે મારામારી કરી હતી. ઘરે આવીને કહ્યુ હતુ કે, તમે કેમ પ્રેમલગ્ન બાબતની ચર્ચા કરો છો ? તેમ કહી પહેલા મારામારી કરી અને બાદમાં પોતાની પાસે રહેલુ ચપ્પુ કાઢી યુવકના પેટમાં ભોંકી દીધુ હતુ. જેમાં યુવક ઇજાગ્રસ્ત થતા સિવિલ લઇ જવામાં આવ્યો હતો,જ્યારે હત્યાનો પ્રયાસ કરનાર બે ભત્રીજા બાઇક લઇને ભાગી ગયા હતા. આ બાબતે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ 60 વર્ષિય વૃદ્ધ ફૂલાભાઇ કચરાભાઇ રાવળ (રહે, રૂપાલ) તેમના પુત્ર અરવિંદના ઘરે હતા, તે સમયે અરવિંદ, તેની પત્ની સંગીતા, તેના પૌત્ર રોહિત અને પૌત્રી જ્યોત્સના પણ ઘરે હતા. તે સમયે સવારના આશરે 10 કલાકે તેમના કુટુંબી ભત્રીજા જયેશ ચંદુભાઇ રાવળ અને વિપુલ ચંદુભાઇ રાવળ બાઇક લઇને સીધા જ ઘરે આવ્યા હતા. ઘરે આવીને સીધા જ ગાળાગાળી કરવા લાગ્યા હતા અને કહ્યુ હતુ કે, તમે મારા સાળા કેતનના પ્રેમલગ્નની કેમ ચર્ચા કરો છો ? જેથી વૃદ્ધ ફૂલાભાઇએ કહ્યુ હતુ કે, તેમણે ભાગીને લગ્ન કર્યા છે, જેથી અમારે તમારી સાથે કોઇ લેવા દેવા નથી કે સબંધ નથી રાખવો. સબંધ રાખવાની ના પાડતા બંને જણા તુરંત ઉશ્કેરાઇ ગયા હતા અને લોખંડની પાઇપ અને લાકડાના ધોકાથી મારામારી કરવા લાગ્યા હતા. જેમાં પૌતરી જ્યોત્સનાને ધોકો વાગ્યો હતો. જ્યારે પૌત્ર રોહિત દાદાને બચાવવા આવતા તેને લોખંડની પાઇપ મારી હતી. જેમાં જયેશ રાવળે તેની પાસે રહેલુ ચપ્પુ કાઢી રોહિતને મારી નાખવાના ઇરાદે પેટમાં મારી દીધુ હતુ. ચપ્પુ માર્યા બાદ વધારે દેકારો થયો હતો. જેમાં આસપાસમાંથી લોકો દોડી આવતા બંને આરોપીઓ બાઇક લઇને ભાગી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત રોહિતને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
હુમલો:રાંધેજામાં અંગત અદાવતમાં દંપતી પર 4 લોકોનો હુમલો
રાંધેજા ગામમાં રહેતા શ્રમજીવી દંપતી ઉપર ગામના જ 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તમે અમારી વાતો કેમ કરો છો ? કહીને દંપતી પાસે આવ્યા હતા અને બાદમાં તેમને માર મારવામાં આવ્યો હતો. જેથી દંપતીએ મારામારી કરનાર આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ રાંધેજા ગામમાં રહેતા આશરે 50 વર્ષિય આધેડ સુખાભાઇ મથુરભાઇ દંતાણી છુટક મજુરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી છેકે, ગત રોજ તેમની પત્ની સાથે સાંજના આશરે 5 કલાકે રાંધેજા ગામથી તેમના છાપરા તરફ ચાલતા જતા હતા. તે સમયે તળાવ પાસે આવતા ગામના જ મહેશ કલાભાઇ દંતાણી, મનોજ ગોકાભાઇ દંતાણી ઉભા હતા, જ્યારે દંપતી તેમના છાપરાએ પહોંચી ગયુ હતુ અને પતિ-પત્ની બંને બેઠા હતા, તે સમયે બંને જણા દંપતી પાસે જઇને કહેવા લાગ્યા હતા કે, તમે કેમ અમારી વાતો કરતા હતા ? જેથી દંપતીએ કહ્યુ હતુ કે, અમે કોઇ તમારી વાત કરી નથી. તેમ કહેતાની સાથે જ લોકો ઉશ્કેરાઇ ગયા હતા, ગાળાગાળી કરતા હતા, જેથી ગાળો બોલવાની ના પાડતા મારામારી કરવા લાગ્યા હતા. તે સમયે આરોપીઓના પક્ષમાં ગોકળ સેંધાભાઇ દંતાણી, શિલ્પા મનોજ દંતાણી દોડી આવ્યા હતા અને હાથમાં લોખંડનો સળિયો લઇને આવતા પગમાં મારી દીધો હતો. જેથી બુમરાણ મચાવતા લોકો દોડી આવતા આરોપીઓ ભાગી ગયા હતા. ધમકી આપતા ગયા હતા કે, આજે તો બચી ગયા છો, પરંતુ ફરીથી અમારુ નામ લીધુ છે તો જાનથી મારી નાખીશુ. જેથી પેથાપુર પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રાંધેજા ગામમાં રહેતા શ્રમજીવી દંપતી ઉપર ગામના જ 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તમે અમારી વાતો કેમ કરો છો ? કહીને દંપતી પાસે આવ્યા હતા.
હિટ એન્ડ રન:વાસણિયા મહાદેવ પાસે હિટ એન્ડ રનમાં આધેડનું મોત
ગાંધીનગરના વાસણિયા મહાદેવ ગામ પાસે બાલવા તરફથી આવી રહેલા એક પીકઅપ ડાલાના ચાલકે શ્રમજીવી આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે ટક્કર મારી ભાગી છુટ્યો હતો. જ્યારે આ અકસ્માતમાં આધેડનુ મોત થયુ હતુ. જેથી ડાલાના ચાલક સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ગાંધીનગરના વાસણિયા મહાદેવ પાસે એક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. બાલવા ગામની સીમમાં રહેતા મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉકરડી ગામના આધેડ પ્રકાશભાઇ નટ તેમના પત્ની સાથે છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા. જ્યારે બે દિવસ પહેલા તેમની પત્નીને કહીને રાતના સમયે બીડી-પેટી અને લાકડા લેવા ઘરેથી નિકળ્યા હતા. જ્યારે સામગ્રી લેવા જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે એક બાલવા તરફથી વાસણિયા મહાદેવ તરફ જતા પીકઅપ ડાલા નંબર 7425ના ચાલકે આધેડને ટક્કર મારી હતી અને બાદમાં તે ભાગી ગયો હતો. અકસ્માતથી આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ વતનમાં રહેતો પરિવાર દોડી આવ્યો હતો અને મૃતકના દીકરાએ ડાલાના ચાલક સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
હત્યારો પોલીસના સંકજામાં:કલોલમાં હત્યા કરી પેરોલ જમ્પ કરનાર હત્યારો આખરે ઝડપાયો
ગાંધીનગર પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટીને પરત નહીં ફરેલા હત્યાના ગુનાના કેદીને મુંબઈમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હત્યારો આરોપી પેરોલ જમ્પ કરી મુંબઇમાંંં છુપાયો હતો અને ત્યાં રિક્ષા ચલાવતો હતો. આખરે પોલીસે તેને ઝડપી લીધો હતો. ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કેદીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પગલે એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા ટીમોને તાકીદ કરવામાં આવી હતી અને આ ટીમોએ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓની યાદી તૈયાર કરી હતી. સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ કેદીઓ અને આરોપીઓના આશ્રયસ્થાનો વિશે માહિતી એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, સાબરમતી જેલમાંથી કલોલ તાલુકામાં વર્ષ 2021માં નોંધાયેલા હત્યાના ગુનાનો કાચા કામના કેદી જય ઉર્ફે જેકી મનોજભાઈ ચૌહાણ (રહે, ઓડાના મકાન, દાસ્તાન સર્કલ, કઠવાડા) હાઇકોર્ટમાંથી પેરોલ રજા ઉપર છુટયો હતો અને પરત ફર્યો નથી. જે હાલ મુંબઈ ખાતે ડ્રાઇવિંગ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પી.એસ.આઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ દ્વારા કેમ્પ કરીને આ કેદીને નયાગાવ વસઈ મુંબઈ ખાતેથી પકડી લેવાયો હતો અને અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

28 C