SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ધાનપુરમાં કૂવામાં ખાબકેલા દીપડાનું ત્રણ દિવસે રેસ્ક્યૂ:70થી વધુ કર્મીઓએ પાંજરા-જાળની મદદથી જીવતો બહાર કાઢ્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે એક ખેડૂતના ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું ત્રણ દિવસની અવિરત મહેનત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગત ૧૫ નવેમ્બરની મધરાતે ખેડૂત મોતીભાઈ ડાયરાના ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો. ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. દીપડો કૂવાની દીવાલમાં ખોદેલી બખોલમાં ઊંડે છુપાઈ ગયો હતો અને બહાર આવવા તૈયાર નહોતો. વન વિભાગે સૌપ્રથમ વાંસની લાકડીએ મોબાઈલ બાંધીને વીડિયો લીધો, જેથી દીપડાની હાજરીની ખાતરી થઈ શકે. ત્યારબાદ પાંજરામાં મરઘી મૂકીને કૂવામાં ઉતારવામાં આવ્યું અને લાકડાની નિસરણી પણ મૂકવામાં આવી, પરંતુ દીપડો બહાર આવ્યો નહીં. આજે સવારથી ધાનપુર અને બારીયા રેન્જના કુલ ૭૦થી વધુ કર્મચારીઓએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાં મોટી જાળ ઉતારવામાં આવી. એક કર્મચારી પાંજરામાં બેસીને કૂવામાં ઉતર્યો અને બખોલ તોડી. દીપડો બહાર નીકળ્યો, પરંતુ ફરી છલાંગ મારીને બખોલમાં ઘૂસી ગયો. આખરે, પાંજરું બખોલ પાસે મૂકીને ઉપરથી વાંસની લાકડીઓથી ધક્કા મારવામાં આવતા દીપડો પાંજરામાં કેદ થયો. ગામલોકોની મદદથી પાંજરું સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું. વન વિભાગના જણાવ્યા અનુસાર, દીપડો સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને ટૂંક સમયમાં જંગલમાં છોડી દેવામાં આવશે. વન વિભાગની આ સમયસર કાર્યવાહીથી એક મોટી જાનહાનિનો ભય ટળી ગયો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:27 am

પાટણમાં સગીરાના અપહરણનો મામલો:મુખ્ય આરોપીના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો

પાટણ તાલુકાના એક ગામેથી ગત તા. 15/10/25ના રોજ એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના આક્ષેપ ધરાવતા મુખ્ય આરોપી ઋત્વિક ઠાકોરને પાટણ પોલીસે તા. 13/11/25ના રોજ ઝડપી પાડ્યો હતો. આરોપીને પાટણની પોક્સો કોર્ટમાં રજૂ કરાયા બાદ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તા. 17/11/25ના રોજ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. આ કેસમાં પોલીસે કિશોરીને પણ હસ્તગત કરી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઋત્વિક અને કિશોરી તેમના ગામેથી ભાગીને મુંદ્રા નજીક આવેલા લાખાપર ગામે એક ખેતરમાં આવેલા મકાનમાં રોકાયા હતા. આ રોકાણ દરમિયાન આરોપીએ કિશોરી સાથે બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું કિશોરીએ જણાવ્યું હતું. આ નિવેદનના આધારે આરોપી સામે પોક્સો અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં કિશોરીનું અપહરણ થયું તે પહેલાં તેના પિતાએ ઋત્વિક ઠાકોર સામે તેમની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી અને ઋત્વિક વચ્ચે પરિચય થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ઋત્વિક તેમની દીકરીને ગામમાં મળવા પણ આવતો હતો અને એકવાર તેઓ પકડાઈ ગયા બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપી તેમની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો હતો. પોલીસે આરોપીના રિમાન્ડની અરજીમાં કોર્ટને રજૂઆત કરી હતી કે, આરોપીએ મુંદ્રાના લાખાપરના ખેતરમાં જ્યાં રોકાઈને કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું, તે સ્થળે એફએસએલની તપાસ કરવાની બાકી છે. વધુમાં, આરોપીએ જણાવ્યું હતું કે લાખાપરથી રવાના થયા બાદ તે કિશોરી સાથે તેના મિત્ર પાસે હિંમતનગર ખાતે સાત દિવસ રોકાયો હતો. આરોપી તેના મિત્રથી સારી રીતે પરિચિત હોવાથી હિંમતનગર ખાતેની જગ્યાએ આરોપીને સાથે રાખીને તપાસ કરવાની જરૂરિયાત હતી. આ ઉપરાંત, આરોપી અને કિશોરી બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર ચેટ થયાનું જણાવતા હતા, અને ઘરેથી નીકળ્યા તે દિવસે બંનેએ તેમના ફોન તોડી નાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેથી, ઇન્સ્ટાગ્રામ આઈડી રિકવર કરીને તેમાંથી મહત્વના પુરાવા એકત્ર કરવાના હોવાથી રિમાન્ડ જરૂરી હતા. કોર્ટે ગુનાને સાંકળતી કડીઓ પ્રસ્થાપિત કરવા તપાસના કામે આરોપીની હાજરી જરૂરી જણાતા રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:26 am

પાટણ પાલિકામાં 25 એપ્રેન્ટિસને નિયુક્તિ પત્રો અપાયા:પ્રમુખ હિરલબેન પરમારે ઉમેદવારોને ફરજ પર હાજર કર્યા

પાટણ નગરપાલિકામાં 25 એપ્રેન્ટિસ કર્મચારીઓને નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે એક કાર્યક્રમમાં આ ઉમેદવારોને ફરજ પર હાજર થવાના આદેશ પત્રો આપ્યા હતા. આ સાથે તેમને ફરજ પર લેવામાં આવ્યા હતા. અગાઉ, પાટણ નગરપાલિકા દ્વારા 40 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં લગભગ 150 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ બાદ તેનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મેરિટ લિસ્ટમાંથી ઉચ્ચ સ્થાન ધરાવતા 25 ઉમેદવારોની પસંદગી કરીને તેમને ફરજ પર હાજર કરવાના ઓર્ડરો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે એનાયત કર્યા હતા. બાકીના ઉમેદવારોને હાલમાં વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. પસંદ કરાયેલા 25 એપ્રેન્ટિસ કર્મચારીઓમાં બે મોટર મિકેનિકલ વ્હીકલ, બે સર્વેયર ડ્રાફ્ટમેન સિવિલ, એક મિકેનિક ડીઝલ, ત્રણ વેલ્ડર, ચાર ફીટર, પાંચ એસ.આઈ. અને નવ કોમ્પ્યુટર ઓપરેટરનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:24 am

પાટણમાં સગીરાના અપહરણ-દુષ્કર્મનો મામલો:પતિ-પત્નીને 7 વર્ષની સખત કેદ, પીડિતાને ₹30,000 વળતર ભલામણ

પાટણ શહેરની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પે. પોક્સો (સેશન્સ) કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી મેલાજી ઉર્ફે રાહુલ ઉર્ફે અકકો ઉર્ફે ચુંગી બળવંતજી ઠાકોર (ઉંમર 24) અને તેની પત્ની સરોજબેન (ઉંમર 19), રહે. પિતાંબર તળાવ, પાટણને દોષિત ઠેરવ્યા છે. જજ બિપિન કે. બારોટે બંને આરોપીઓને 7-7 વર્ષની સખત કેદની સજા અને કુલ ₹25,000-₹25,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કોમ્પન્શેસન સ્કીમ હેઠળ ₹30,000નું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે. બારોટે રજૂઆત કરી હતી. અપહરણના ગુના બદલ, કોર્ટે આરોપી મેલાજી ઉર્ફે રાહુલ ઠાકોર અને તેની પત્ની સરોજબેનને આઈપીસી કલમ 363/366 હેઠળ 3-3 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ₹5,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમ 3(એ) 4 તથા કલમ-17 હેઠળ દોષિત ઠેરવીને બંનેને 7-7 વર્ષની સખત કેદની સજા અને બંનેને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પોક્સો કોર્ટના જજ બિપિન કે. બારોટે પોતાના 31 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, તમામ પુરાવા પરથી એવું નિઃશંકપણે પૂરવાર થયું છે કે ભોગ બનનાર સગીરા હતી અને સંમતિ આપવાને લાયક નહોતી. આરોપી સગીર હોવાનું જાણતા હોવા છતાં તેનું અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈને મેલાજી ઉર્ફે રાહુલે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની પત્ની સરોજે મદદગારી કરી હતી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ દયાને પાત્ર જણાતા નથી. જોકે, રેકર્ડ પરના પુરાવા જોતા ભોગ બનનાર પણ કંઈક અંશે જવાબદાર બને છે. કોર્ટે ફરિયાદ પક્ષના 10 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:23 am

ટોયલેટ ક્લીનરની આડમાં દારૂ હેરાફેરી:બે આરોપીઓના રિમાન્ડ, પોલીસે વોન્ટેડ સપ્લાયરની શોધ શરૂ કરી

વલસાડ એલસીબીએ પારડી-વલ્લભ આશ્રમ હાઇવે પરથી ટોયલેટ ક્લીનરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 3.47 લાખનો દારૂ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબીની ટીમે વોચ ગોઠવીને એક બંધ બોડી ટેમ્પો (MH-48 CB-3064) રોક્યો હતો. ટેમ્પોની તપાસ કરતાં તેમાંથી ટોયલેટ ક્લીનર, હાર્પિક, ફિનાઈલ અને એસિડના બોક્સની પાછળ છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 40 બોક્સમાંથી 1296 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક બાલાજી ગેલાભાઈ રાવરીયા અને ક્લિનર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જાડેજા (બંને રહે. કચ્છ ભુજ) ને ઝડપી પાડ્યા હતા. દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ અને અન્ય સામાન મળી કુલ રૂ. 8.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના રમેશભાઈએ આ દારૂ ભરાવી વડોદરા લઈ જવા કહ્યું હતું. પોલીસે રમેશભાઈને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ તેજ કરી છે. કેસની વધુ તપાસ વલસાડ સિટી પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓના ગુરુવાર સવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન દારૂ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોની સંડોવણી છે, કેટલા સમયથી આ રીતે દારૂ મોકલાતો હતો અને નેટવર્કનું વાસ્તવિક માળખું શું છે તે દિશામાં વલસાડ સિટી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:21 am

વાપી મનપાની સોસાયટીઓને વિકાસ માટે અપીલ:લોકભાગીદારી યોજનામાં કરોડોના કામો શક્ય, 80 ટકા સુધીની રકમ રાજ્ય સરકાર ગ્રાન્ટ તરીકે પૂરી પાડે છે

વાપી મહાનગરપાલિકાએ શહેર અને વલસાડ જિલ્લાની ખાનગી સોસાયટીઓને વિકાસ કાર્યો માટે દરખાસ્તો કરવા અપીલ કરી છે. રાજ્ય સરકારની લોકભાગીદારી યોજના હેઠળ કરોડો રૂપિયાના કામોને મંજૂરી મળી શકે છે. મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ અને રહેવાસીઓને આ તકનો લાભ લેવા જણાવ્યું છે. આ યોજના અંતર્ગત, કુલ ખર્ચના 80 ટકા સુધીની રકમ રાજ્ય સરકાર ગ્રાન્ટ તરીકે પૂરી પાડે છે, જ્યારે બાકીના 20 ટકા સોસાયટી દ્વારા લોકભાગીદારી પેટે ચૂકવવાના રહેશે. વિકાસ કાર્યો માટે કોઈ ભંડોળ મર્યાદા નથી, જેથી નાના કામોથી લઈને રૂ. 20 કરોડ સુધીના મોટા પ્રોજેક્ટ્સ પણ મંજૂરી માટે મોકલી શકાય છે. મહાનગર પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તા, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, પાણીની લાઇન અને કોમન પ્લોટના વિકાસ જેવા મુખ્ય કાર્યો આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજના સોસાયટીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. દરખાસ્ત પ્રક્રિયા મુજબ, સોસાયટીના પ્રમુખ અથવા સેક્રેટરીએ સોસાયટીના લેટરપેડ પર પ્રાથમિકતા મુજબ કરાવવા ઇચ્છાતા કામોની વિગતો રજૂ કરવી પડશે. મહાનગર પાલિકા દ્વારા સ્થળ સર્વે કર્યા બાદ સંપૂર્ણ દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. વિકાસના મોટા પ્રોજેક્ટ્સ માટે સરકાર તરફથી પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી, વાપી તેમજ વલસાડ જિલ્લાના તમામ નગરો અને સોસાયટીઓ માટે આ યોજના વિકાસ માટે એક સુવર્ણ તક સમાન છે. મહાનગર પાલિકાએ નાગરિકોને વધુમાં વધુ લાભ લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા વધારવા ખાસ અપીલ કરી છે. સમાવેશ થતા કામો

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:20 am

બાર સંચાલકની આગોતરા જામીન અરજી નામંજૂર:42.24 લાખના દારૂ સપ્લાય કેસમાં વાપી કોર્ટે નિર્ણય લીધો

વલસાડ જિલ્લામાં ₹42.24 લાખના ગેરકાયદેસર દારૂ સપ્લાય કૌભાંડ કેસમાં વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકલે બાર સંચાલક કિરણકુમાર સુમનભાઈ પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. કિરણ પટેલે પોલીસ કાર્યવાહીથી બચવા માટે આ અરજી કરી હતી, પરંતુ અદાલતે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખી હતી. આ કેસ 10 ઓક્ટોબર 2025ના રોજ ઉમરગામ તાલુકાના તલવાડા વિસ્તારમાં નોંધાયો હતો. તે સમયે ટાટા કન્ટેનર ટ્રક (DN-09-5-9156) માંથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રક ચાલક ઇમરાન મોદી ઇસરાર ખાનની ધરપકડ કરી હતી. ટ્રકની તપાસ કરતા તેમાંથી 320 બોક્સ ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી મળી આવી હતી, જેમાં કુલ 15,360 બોટલ હતી. આ દારૂની કિંમત ₹42,24,000 આંકવામાં આવી હતી. દારૂ ઉપરાંત, ખાલી બેરલ, પ્લાસ્ટિક ટાંકી, મોબાઇલ ફોન અને ખોટી નંબર પ્લેટ સહિત કુલ ₹52,39,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો પ્રોહિબિશન એક્ટ અને BNSની કલમો હેઠળ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યો હતો. સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવા માટે ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસના મતે, આ સમગ્ર કૌભાંડ પાછળ દમણનો વોન્ટેડ આરોપી કમલેશ સંડોવાયેલો છે, જે હજુ સુધી ફરાર છે. કેસની ગંભીરતા, આરોપી વિરુદ્ધના પુરાવા અને વોન્ટેડ આરોપી સાથેના સંભવિત જોડાણને ધ્યાનમાં રાખીને અદાલતે કિરણકુમાર પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ કેસમાં પોલીસ હવે વધુ તપાસ અને કાર્યવાહી ઝડપી બનાવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:16 am

No હેલમેટ, No મોટરસાઈકલ એન્ટ્રીના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન:સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓ હેલ્મેટ વગર કરે છે પ્રવેશ, સિક્યુરિટી તૈનાત પણ હેલ્મેટની ફરજ પાડનાર કોઈ નહીં

સેવન્થ ડે સ્કૂલમાં No Helmet, No Motercycle/Scooter Entryના બોર્ડ તો લગાવવામાં આવ્યા છે. પરંતુ આ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. વિદ્યાર્થી નયનની હત્યા બાદ સ્કૂલની વધુ એક બેદરકારી સામે આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સ્કૂલ બહાર No Helmet, No Motercycle/Scooter Entryના બોર્ડ તો લગાવાયા છે. પરંતુ તેનું નહતો હોઈ પાલન કરી રહ્યું નહતો કોઈ પાલન કરાવતું જોવા જોવા મળી રહ્યું છે. નિયમોનું પાલન કરાવનાર કોઈ ના હોવાથી વિદ્યાર્થીઓ તો ઠીક સ્કૂલના કર્મચારીઓ પણ હેલ્મેટ વગર કેમ્પસમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. હેલ્મેટ નિયમ કાગળ પર? સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા સરકારી કચેરી, શાળા અને કોલેજોમાં આવતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ કચેરીઓમાં, શાળા કે કોલેજોમાં હેલ્મેટ વગર આવતા લોકોને પ્રવેશ આપવામાં ના આવે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ આદેશ થાય તેના થોડા દિવસ જ નિયમોનું પાલન થતું હોય છે. જ્યાં સુધી ડ્રાઈવ ચાલે ત્યાં સુધી જ નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે, જેવી ડ્રાઈવ પૂરી થઈ જાય તે બાદ નિયમો કાગળ પર રહી જતા હોય છે. No Helmet, No Motorcycle Entryના બોર્ડ શોભાના ગાંઠિયા સમાનસેવન્થ ડે સ્કૂલના ગેટ પર જ એક બોર્ડ લગાવેલું છે. જેના પર લખેલું છે No Helmet, No Motercycle/Scooter Entry. પરંતુ આ બોર્ડ માત્ર દેખાવ પૂરતું જ સારું લાગી રહ્યું છે. બોર્ડ જોઈને લાગે કે સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હશે. હેલ્મેટ ન પહેરીને આવનાર લોકોને ગેટની બજાર જ રોકી દેવામાં આવતા હશે. પરંતુ શાળાનો સમય શરૂ થતા એક બાદ એક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલના કર્મચારીઓ આવવા લાગ્યા હતા. જેવી શાળા શરૂ થઈ ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. મોટા ભાગના લોકોએ હેલ્ટમેટ પહેર્યું નહતુંસ્કૂલમાં ગેટ પર No Helmet, No Motercycle/Scooter Entry બોર્ડ પાસેથી જ ગેટમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલના કર્મચારીઓ ગેટમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના લોકોએ હેલ્ટમેટ પહેર્યું નહતું. છતાં પણ તેમણે ગેટની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. સ્કૂલ ગેટ પર જ્યાં બોર્ડ લગાવ્યું છે ત્યાં જ સિક્યુરિટી ગાર્ડના જવાનોની ફૌઝ જોવા મળી હતી. પરંતુ કોઈએ પણ એક વિદ્યાર્થી, શિક્ષક કે સ્કૂલના કર્મચારીઓ પાસે હેલ્મેટના નિયમોનું પાલન કરવાની કોઈએ પણ તસ્દી લીધી નહતી. નિયમોનું પાલન કરાવનાર જ કોઈ નથી?હેલ્મેટ વગર આવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલના કર્મચારીઓને ગેટ પર જ રોકનાર કોઈ નહતું. જેથી હેલ્મેટ પહેરવામાં લોકો આળસ રાખતા જોવા મળ્યા હતા. જો નિયમોનું પાલન કરાવનાર જ કોઈ નથી કે જે હેલ્મેટ પહેર્યા વગર આવતા લોકોને રોકી તેમને કેમ્પસમાં પ્રવેશ ન આપે. તો પછી No Helmet, No Motercycle/Scooter Entryનું લગાવવાનો શું ફાયદો તે સૌથી મોટો સવાલ છે. કારણ કે નિયમ બનાવ્યો છે તેનું પાલન દરરોજ થવું પણ એટલું જ જરૂરી છે. એમાં પણ સુરક્ષા અને સલામતી વાત હોય એમાં આ પ્રકારની ઉદાસીનતા રાખવી કેટલી યોગ્ય છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:10 am

ગાંધીનગરમાં CMની આગેવાનીમાં આજે કેબિનેટ બેઠક મળશે:ખેડૂતોને આપવામાં આવતા કૃષિ સહાય પેકેજ અંગે સમીક્ષા થઈ શકે છે

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. બેઠક દરમ્યાન રાજ્યના અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા થવાની છે. સૂત્રો મુજબ બેઠકમાં મુખ્યત્વે ટેકાના ભાવે ખરીદીની હાલની સ્થિતિ અને ખેડૂતોને આપવામાં આવતા કૃષિ સહાય પેકેજ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના પ્રભાવ અને ખેડૂતોને મદદરૂપ થવા માટેના નવા પગલાંઓ અંગે પણ વિચારણા થઈ શકે છે. 'ચિંતન શિબિર' અંગેની તૈયારીઓ અને એજન્ડા પર બેઠકતે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવનારા કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા પણ બેઠકમાં થશે. રાજ્યભરમાં યોજાનાર એકતા યાત્રા સહિતના અન્ય સરકારી કાર્યક્રમોની પ્રગતિ અને આયોજન અંગે પણ ચર્ચા થવાની છે. રાજ્ય સરકારે આગામી સમયમાં યોજાનારી 'ચિંતન શિબિર' અંગેની તૈયારીઓ અને એજન્ડા પર પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરશે. મહત્વપૂર્ણ નિર્ણયો અને આયોજન સાથેની આ બેઠક પર સમગ્ર રાજ્યનું ધ્યાન કેન્દ્રિત રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:04 am

7 ડિસેમ્બરના રોજ કેવડિયા જેવો એરશો રાજકોટમાં માણવા મળશે:આકાશમાં સૂર્યકિરણની ટિમ ફ્લાય પાસ્ટ, ડાયમંડ ફોર્મેશન સહિતના અવનવા કરતબો બતાવશે

રાજકોટ વાસીઓને વર્ષના અંત પહેલા એટલે કે 7 ડિસેમ્બરના રોજ એક અદ્ભૂત અને સાહસિક એર શો જોવા મળવાનો છે. આ એરશોમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા રાજકોટના આકાશમાં અવનવા કરતબો થકી દિલધડક સ્ટંટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એરશો માટેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપવાનો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:57 am

ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ:વડોદરાના ગોરવા મધુનગરમાં ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગ લગતા અફરા તફરી મચી, ભીષણ આગમાં કોઈ જાનહાનિ નહીં, રેસ્ટોરન્ટ બળીને ખાખ

વડોદરા શહેરના ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા અફરા તફરી મચી જવા પામી હતી. આ રેસ્ટોરન્ટ આખી વાંસની લાકડીઓમાંથી બનાવેલ હોવાથી આગ લગતા જ આંખના પલકારામાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાર્ડન રેસ્ટોરન્ટ આખી બળીને ખાખ થઈ ગઈ હતી. વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલ 'તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ'માં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ જોત જોતામાં આખા રેસ્ટોરન્ટમાં ફેલાઈ જતા જોત જોતામાં વાસની લાકડીઓ હોવાથી ભડભડ સળગી ઊઠી હતી. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી છાણી ટીપી 13 સ્ટેશનને જાણ કરતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબા લેવાનાઓ પ્રયાસ કર્યો હતો. આ ફાયર બુઝાવે તે પહેલા આખું ગાર્ડન રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવ અંગે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગ વાસની લાકડીઓથી બનેલ ગાર્ડન રેસ્ટોરન્ટ હોવાથી ઝડપી પ્રસરી હતી. આ આગ લગતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદ નસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગનું કહેવું છે કે, આ આગ બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડાના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:54 am

નલિયામાં 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડીનો ચમકારો:વડોદરામાં 12.6 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ, રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો

હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 12.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયુંસમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:45 am

ભયાનક અકસ્માતના દૃશ્યો CCTVમાં કેદ:વડોદરા મનપાના ટેમ્પો ચાલકે દારૂ પીને બે લોકોને ફંગોળી અન્ય ટેમ્પાને ટક્કર મારી, ટોળાએ મેથીપાક ચખાડ્યો, કચરાની ગાડીમાંથી દારૂની પોટલી મળી

વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રસ્તા પર ઉભેલા બંનેને ફંગોળ્યા બાદ પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારીવડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. મુન્ના ભુરાભાઈ મેડા (ઉ.વ.29 હાલ રહે. મહાકાળી મંદિરની સામે આવેલ ઝુપડામાં, આર.સી.સી. રોડ ગાજરાવાડી, વડોદરા શહેર મુળ રહે. ગામ-થાનલા, તા-જાભવા થાના-થાનલા મધ્યપ્રદેશ)એ ચિક્કાર દારૂ પીધેલો હતો. તેણે પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોળ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પણ દૂર સુધી ઢસડાયો હતો. રોષે ભરાયેલા ટોળાએ મેથીપાક ચખાડ્યોઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોએ ટેમ્પો ચાલકને ટેમ્પોમાંથી ઉતારીને માર માર્યો હતો અને લોકોએ તેને પૂછ્યું હતું કે, તને પગાર પણ આપે છે?, આ ડોર ટુ ડોર ગાડીનો કોન્ટ્રાક્ટર કોણ છે?, તું દારૂ ક્યાંથી લાવ્યો હતો? જેથી ટેમ્પો ચાલકે કહ્યું હતું કે, અહીંથી જ દારૂની પોટલી લીધી હતી અને પીધી હતી. લોકોએ તેની પાસે લાયસન્સ માંગ્યું હતું, પરંતુ તેની પાસે લાયસન્સ નહોતું અને કહ્યું હતું કે, મારા ઘરે આવો તો લાઇસન્સ બતાવુ. આ ઉપરાંત તે લોકો સાથે વાત કરતા કરતા દાદાગીરી કરતો હતો. તેના ટેમ્પો પર વીએમસી ઓન ડ્યુટી લખ્યું હતું. અકસ્માતની ઘટના નજીકના CCTVમાં કેદઅકસ્માતની આ ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, ટેમ્પો ચાલકે બેફામ બનીને પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ રોડની બાજુમાં પાર્ક કરેલા અન્ય એક ટેમ્પોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી સ્પીડમાં મારી હતી કે, પાર્ક કરેલો ટેમ્પો પણ દૂર જતો રહ્યો હતો. ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળીઅકસ્માતના બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ તુરંત જ પાણીગેટ પોલીસને જાણ કરી હતી. પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા ટેમ્પો ચાલક આરોપી મુન્ના ભુરાભાઈ મેડા દારૂ પીધેલી હાલતમાં હતો અને તેના ટેમ્પામાં પણ દેશી દારૂની પોટલી મળી આવી હતી. જેને પગલે પાણીગેટ પોલીસે આરોપી સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યાઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર વાહન ચાલકો દારૂ પીને વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જે છે. ઘણી ઘટનાઓમાં તો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. પોલીસ થોડા દિવસ વાહન ચેકિંગ કરીને પોતાની કામગીરી બતાવે છે, પરંતુ પછી ફરી આ પ્રકારના અકસ્માત થાય છે, ત્યારે વડોદરા શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:45 am

કાર્યવાહી:10 લાખનો વેરો નહિ ભરનારા 4 વેપારીની દુકાન સીલ

અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી છે. મંગળવારે ફીકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલા ચાર દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ દુકાનદારોનો કુલ રૂ.10 લાખ જેટલો વેરો બાકી હોવા છતાં તેની ચુકવણી કરી ન હતી. જેના પગલે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:00 am

કડકડતી ઠંડી:ભરૂચ જિલ્લામાં ઠંડીથી બચવા લોકો તાપણું કરતા નજરે પડ્યા

ભરૂચ જિલ્લામાં રાત્રિનું તાપમાન ગગડતા કડકડતી ઠંડી પડતાં લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. છેલ્લા બે સપ્તાહથી જિલ્લામાં ઠંડી વધી રહી છે જેના કારણે લોકોએ હવે ગરમ કપડાં પહેરવા માટે મજબૂર બની રહ્યા છે. આમ જિલ્લાનું દિવસ દરમિયાન મહત્તમ 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 22 થી 45 ટકા અને પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાકની રહી હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:43 am

મોકડ્રીલ:ભૂકંપથી ઓઇલ લીકેજની રાજયકક્ષાની મોકડ્રીલ યોજાશે

ભરૂચ જિલ્લામાં 21મીએ રાજયકક્ષાની મોકડ્રીલ યોજાશે. સવારે 8:30 વાગ્યે ઓએનજીસી દહેજ અને એલએનજી પેટ્રોનેટ દહેજમાં ભુકંપથી ઓઈલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલ યોજાશે. મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી હતી. જેમાં રાજયકક્ષાએ તેમજ દિલ્હીથી એનડીએમએના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ એક્સરસાઈઝ અંગે વિવિધ સૂચનો કરી થયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. ભરૂચ શહેર- જિલ્લામાં ફાયરના સંસાધનોની ઉપલબ્ધતા, કોઈ પણ દુર્ઘટના સમયે આસપાસની કંપનીઓ પાસેથી ઈમરજન્સી સાધનો મળી રહે, રાહત બચાવ માટે એમ્બ્યુલન્સો, પોલીસ, ઈમરજન્સી સમયે પાણીની ઉપલબ્ધતા તેમજ અન્ય વિભાગો સાથે મળીને જે તે વિભાગોને કરવાની થતી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:42 am

પગારની ચૂકવણી:કોન્ટ્રાક્ટ બેઇઝના 300 સફાઇકર્મીનો ઓક્ટોબરનો પગાર જમા નથી થયો

સુરેન્દ્રનગર મનપામાં 300થી વધુ સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જેમનો ઓકટોબર માસનો પગાર ન થતા રાજ્ય કર્મચારી સંઘે મનપામાં લેખિત રજૂઆત સાથે કાર્યવાહી કરવા માંગ કરી છે. મહાનગર પાલિકામાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ બેઈઝ પર 300થી વધુ રોજમદાર સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. તેઓના ઓક્ટોમ્બર-2025 મહિનાનો પગાર આજદિન સુધી ચૂકવવામાં આવેલ નથી. પગારની અનિયમિતતાને કારણે આ કામદારોને તેમના પરિવારનું ભરણ-પોષણ ચલાવવામાં અને બાળકોના શિક્ષણ પાછળના ખર્ચાઓમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિએ કામદારોમાં ખૂબ જ રોષ ફેલાવ્યો છે. આ એક ગંભીર બાબત છે. આથી જો કોન્ટ્રાક્ટર પગાર ચૂકવવામાં નિષ્ફળ જાય તો મહાનગરપાલિકા મુખ્ય માલિક પગાર ચૂકવવા માટે જવાબદાર છે. તેથી, તાત્કાલિક ધોરણે બાકી પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. કોન્ટ્રાક્ટ બેઈઝના કામદારોને દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિત પગાર ચૂકવવાનો આદેશ કરવામાં આવે તેવી માંગ છે. લઘુત્તમ વેતન નિયમો મુજબ, શોષણ અટકાવવા માટે દરેક કામદારને પગાર સ્લીપ આપવા માંગ કરી છે. તા.1થી 10માં નિયમિત ચૂકવણું થવું જોઇએકોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને ઓકટોમ્બર માસના પગારની ચૂકવણી કરેલ નથી તેથી કાયદાનો ભંગ થાય છે. તેથી તાત્કાલિક ધોરણે 1 પગારનું ચૂકવણુ થવું જોઇએ. નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટ બેઈઝના સફાઈ કામદારોના પગાર દર મહિનાની તા.1થી 10 સુધીમા નિયમિત ચૂકવણુ થવું જોઇએ. લઘુતમ વેતન માટેના નિયમ મુજબ નમુના- B Rules 26(2) મુજબ પગાર સ્લીપ આપવામાં આવતી નથી તેમજ સફાઈ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા પગાર સ્લીપ અપાવવા માંગ કરી છે. > મયુર પાટડીયા, ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:41 am

એસટી બસ પાસ:સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં 11 દિવસમાં 520 વિદ્યાર્થિનીના રૂ. 20 લાખથી વધુના નિ:શુલ્ક પાસ કઢાયા

સુરેન્દ્રનગર શહેરના બસ ડેપો પર વિદ્યાર્થીઓની એસટી પાસ માટે ભીડ જામી રહી છે. વેકેશન બાદ અભ્યાસક્રમો ફરી રાબેતા મુજબ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ હવે અવરજવર શરૂ થઇ હતી. પરિણામે તા. 6થી 17 નવેમ્બર સુધીમાં એટલે કે 12 દિવસમાં સુધીમાં અંદાજે 710 પાસ નિકળ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લો આમ તો શિક્ષણનું હબ ગણાય છે. ત્યારે વેકેશન બાદ ફરી શાળા, કોલેજો, આઇટીઆઈના અભ્યાસો ક્રમો શરૂ થતા વિદ્યાર્થીઓનું આગમન થયું હતું. બીજી તરફ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓને મફતમાં તેમજ વિદ્યાર્થીઓને અમુક ટકા બાદ કરીને એસટી પાસ કાઢી આપવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા છે. આથી જ તેઓએ એસટી બસના પાસનો પણ વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પણ વેકેશન બાદ વિદ્યાર્થીઓની ભીડ દેખાઇ હતી. તેમાંય પાસ બારીએ પણ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓની કઢાવવા માટે લાંબી લાઇનો લાગી હતી. દૈનિક અંદાજે 14000થી વધુ મુસાફરોની અવરજવર રહેતા આ ડેપોમાં હાલ વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવામાં આવતા હોવાની વિગતો બહાર આવી હતી. તા. 6 થી 17 નવેમ્બર સુધીમાં એટલે કે 12 દિવસમાં સુધીમાં અંદાજે 710 પાસ નિકળ્યા હતા. જેમાં ખાસ તો વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક રૂ. અંદાજે કિંમતના 20,60,426ના અંદાજે 520 પાસ કાઢી આપવામાં આવ્યા હતા. જ્યારે અંદાજે રૂ. 1,30,223 કિંમતના 190 પાસ વિદ્યાર્થીઓના રાહત ટકાના દરે નીકળ્યા હતા. આ અંગે એસટી ડેપો મેનેજર દિલીપભાઈ વી.ચૌધરીએ જણાવ્યું કે, નિયમ મુજબ વિદ્યાર્થિનીઓ તેમજ વિદ્યાર્થીઓને પાસ કાઢી આપવામાં આવે છે. સવાલ : દૈનિક પાસ કેટલા નીકળે છે ? જવાબ : અંદાજે 80 થી 90 સવાલ : એક પાસ કાઢતા કેટલો સમય લાગે ? જવાબ : ફોર્મ ચકાસણી સહિતી કામગીરીને લઇને 4 મીનીટ લાગે. સવાલ : પાસ મુશ્કેલીઓ કઇ આવે ? જવાબ : વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરતા હોવાથી અધુરી માહિતી, ખોટી વિગતો વગેરે ભરતા હોવાથી કેન્સલ થાય. એટલે વિદ્યાર્થીઓને તમામ માહિતીઓ આપીને સમજાવવા પડે, કોઇ દિવસ સર્વર ડાઉન હોય વગેરે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:40 am

દુર્ઘટના થાય તો જવાબદારી એજન્સીની રહેશે‎:મનપા 150 હોર્ડિંગ્સ લગાવી વર્ષે 2 કરોડની આવક ઊભી કરશે

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હોડિંગ્સ લગાવીને જાહેરાતો કરવાનો મોટો ક્રેઝ છે. પાલિકા હતી ત્યારે પણ આ હોડિંગ્સમાંથી મોટી રકમની કમાણી કરવામાં આવી હતી ત્યારે મનપા પણ શહેરમાં અલગ અલગ 150થી વધુ જગ્યાએ આવા નવા હોડિંગ્સ ઉભા કરશે તેના માટે લોકો ઓનલાઇન અરજી પણ કરી શકશે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા હતી ત્યારે શહેરમાં જે બેનર લગાવવામાં આવતા હતા તેની વાર્ષિક આવક અંદાજે રૂ.15થી રૂ.20 લાખ થતી હતી. તે સમયે 45 જેટલા બેનર લગાવ્યા હતા. જ્યારે મનપાએ સર્વે બાદ વધારેલા બેનરથી મનપાની આવક અંદાજે વર્ષે રૂ.2 કરોડ જેટલી થશે. સુરેન્દ્રનગર શહેરમાં ખાસ કરીને સ્કૂલો, રાજકીય કાર્યક્રમો તથા તબીબો પોતાની જાહેરાતો માટે શહેરમાં બેનરો લગાવતા હોય છે. તે બેનર થકી જાહેરાતનો પણ ખુબ સારો લાભ મળતો હોય છે. જ્યારે સંયુકત પાલિકા હતી ત્યારે પણ બેનર લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો. ત્યારે મનપાએ કઇ કઇ જગ્યાએ બેનર લગાવવાની વધુ જાહેરાત થઇ શકે અને કઇ જગ્યાએ વધુ લોકોની અવર જવાર છે તેનો સર્વે કરાવ્યો હતો. ત્યાર બાદ મેઇન રોડ, 80 ફૂટ રોડ, ટાવર રોડ, ટીબી રોડ, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિત કુલ 150થી વધુ જગ્યાએ હોડિંગ્સ ઉભા કરવાનું આયોજન કરાયું છે. તે માટે ડિજિટલ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે. જેમાં લોકો https ://snmc;advisiongov. in ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે. દર વર્ષે બેનરનું ફીટનેશ સર્ટિ. લેવાનું રહેશે જે લોકોને બેનર માટે બુકિંગ કરાવવું હોય તે લોકો સાઇડ https ://snmc;advisiongov. in ઉપર નોંધણી કરાવશે. તે માટે મનપા એજન્સી નક્કી કરશે. અને તેને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપશે. બેનર પડવાથી જો કોઇ દુર્ધટના બને તો તેની જવાબદારી એજન્સીની રહેશે. દર વર્ષે બેનરનું ફીટનેશ સર્ટિ. પણ લેવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:39 am

કર્મચારીઓની ભરતી:સુરેન્દ્રનગર મહાપાલિકામાં 13 નોકરીને 245 ઉમેદવાર લાઇનમાં

સુરેન્દ્રનગર મનપા થતાની સાથે જ કામગીરી પણ વધી ગઇ છે. જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. પરંતુ સંયુક્ત પાલિકાની સરખામણીએ કામગીરી પણ ઘણી વધી જતી હોવાને કારણે વર્કલોડ ઓછો કરવા માટે સેનિટેશન, ટેક્સ, ટેકનિકલ, સુપરવાઇઝર, સોલીટ વેસ્ટ મેનેજર સહિતની અલગ અલગ કુલ 13 જગ્યા માટે મંગળવારે મનપા ખાતે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વાગ્યાથી જ ઉમેદવારોની ભીડ લાગી ગઇ હતી.13 જગ્યા માટે કુલ 245 લોકો આવ્યા હતા. મનપાએ તેમના ઇન્ટરવ્યૂ લઇને આગામી સમયમાં કોલ લેટર આપશે. તમામની ભરતી કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:37 am

ભાસ્કર ઈનસાઈડ:મહિલા બીએલઓને રાત્રે 12 વાગ્યે ફોન આવ્યો, મેડમ તમારા લગ્ન થઈ ગયા ? સરનામું આપજો !

સેતુગિરિ ગોસ્વામીસુરેન્દ્રનગર જિલ્લામા 1580 બી.એલ.ઓ દ્વારા 14 લાખથી વધુ મતદારોની યાદી સુધારણા માટે એસ.આઈ.આર પ્રક્રિયા ચાલુ.છે. જેમાં ખાસ કરીને મહિલા બીએલઓની મુશ્કેલીઓ વધી ગઇ છે. મતદારો મહિલા બીએલઓના ફોન નંબર ઉપર 12 વાગે ફોન કરીને કેટલાક મતદારો કહે છે, મેડમ તમારા લગ્ન થઇ ગયા છે? તમે કયા રહ્યો છો? જેને કારણે મહિલા બીએલઓની કામગીરીની સાથે મોબાઇલની મુશ્કેલીઓ વધી ગઇ છે. મહિલાઓને કેવી મુશ્કેલી મોબાઇલને લઇને પડી રહી છે તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમે 11 મહિલા બીએલઓને મળીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મતદાર યાદીની કામગીરીની સાથે જાહેર થયેલા મોબાઇલ નંબરમાં આવતા ખોટા મેસેજ અને ફોન પરેશાનીનું કારણ બની ગયુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આટલુ જ નહી પરંતુ લોકો મેસેજ કરીને અટપટ્ટી અને વિચિત્ર વસ્તુઓ પણ પૂછતા હોવાનું મહિલા બીએલઓએ સ્વીકાર્યુ હતું.આથી હવે બીએલઓ અજાણ્યા ફોન રિસીવ કરતાં પણ ડરે છે. મહિલા બીએલઓને પૂછાતા સવાલો,પાછા ક્યારે આવશો? 1. મેડમ તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? તમારા ઘરનુ સરનામુ શુ છે ?2. મારી દીકરી સાસરે છે તેનો વિભાગ ક્રમાંક તત્કાલિક શોધી આપો ને3. અમારા ઘરમાં એક ફોર્મ આવ્યું નથી ક્યારે આવશે?4. અમે ઘરનુ સરનામું બદલી દીધું છે તમે નવા ઘરે ફોર્મ લઈને આવશો?5. તમે આવ્યા ત્યારે અમે ઘરે નહોતા ફરીથી ક્યારે આવશો?6. ફોર્મ ભરવું ફરજીયાત છે? નહીં ભરીયે તો શુ થશે?7. ફોર્મ સાથે ડોક્યુમેન્ટ નહીં આપીયે તો ચાલશે?8. ચૂંટણી કાર્ડમાં અને ડોક્યુમેન્ટમાં અલગ નામ છે તો શુ કરવું સમસ્યાનો ઉપાય : ઓપરેટ ફાળવ્યા, સહાયક આપવા જોઇએ ઓનલાઇન કામગીરી માં થતી મુશ્કેલી સહિતના પ્રશ્નો અંગે વઢવાણના પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. ઓનલાઇન કામગીરીમાં પડતી અડચણ, કામગીરીનું ભારણ ટેન્શન વગેરેને ધ્યાનમાં લઇ ઓનલાઇન કામગીરી કરવા ડેટા ઓપરેટર ફાળવ્યા છે. જેથી શિક્ષકોને માત્ર ફોર્મ કલેક્શન કરાવવાના રહેશે. બી.એલ.ઓ.ને સહાયકો આપવા જલ્દી નિર્ણય લેવાય તો કામગીરી સરળ બની શકે. મહિલા બીએલઓને મુશ્કેલી પડે તો સંઘ સાથ આપશે. > પ્રવિણસિંહ પરમાર, પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ આધારકાર્ડ, બેંકમાં લીંક નંબર બંધ પણ ન કરી શકાય મતદારોને ફોર્મ ભરવા માટે આપ્યા છે. તેમાં જ બીએલઓના નંબર લખાયા છે. આમ 1500થી વધુ ઘરોમાં મહિલા બીએલઓના નંબર પણ પહોંચી ગયા છે. તેમાં લોકો સવારે ગુડમોર્નિંગના મેસેજ પણ કરતા થઇ ગયા છે. બેંક,આધાર કાર્ડ સહિતની તમામ જગ્યાએ આ નંબર ચાલતો હોય હવે મહિલા બીએલઓ તે નંબર પણ બંધ કરી શકે તેમ નથી. મહિલા BLO પૂછાતા સવાલો, પાછા ક્યારે આવશો?ક્યારેક ઊંઘમાંથી ઝબકી જવાય છેઅમે મતદારોની મદદ માટે તત્પર રહીએ છીએ અને તમામ કોલ રિસીવ થાય તેવો પ્રયત્ન કરીયે છીએ પણ દિન પ્રતિદીન ફોનની સંખ્યા એટલી વધી ગઈ છે કે, સૂતા, જમતા સતત કોલ ચાલુ રહે છે. રાતે 12 પછી પણ બિનજરૂરી ફોન આવે છે

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:35 am

ભાસ્કર ફોલોઅપ:કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગ બાદ લીધેલા પાણીના સેમ્પલ ફેલ આવ્યા

કાલોલની અમૃત વિધાલયમાં 26 સપ્ટેમ્બરે ફૂડ પોઇઝનિંગથી 63 બાળકોને અસર થઇ હતી. આરોગ્ય વિભાગે શાળાના ધાબા પરની પાણીની ટાંકીમાંથી પાણીના 5 સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા. તપાસ રિપોર્ટમાં પાણીના 3 સેમ્પલ ફેલ આવતા આરોગ્ય વિભાગે વિધાલયને જરૂરી સુચનો કર્યા છે. કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય માં 26 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફૂડ પોઇઝનિંગ થતા 50થી વધુ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. શાળામાં પાણીની ટાંકીનું પાણી પીવાથી તથા નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે શાળાના ધાબા પર આવેલ ટાંકીમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે લીધેલા પાણીના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ મોકલ્યા હતા. ત્યારે શાળાના ધાભા ઉપર મુકેલ ટાંકીમાંથી લેવાયેલા 3 પાણીના નમૂના રિપોર્ટ ફેલ આવ્યા છે. રિપોર્ટના આધારે આરોગ્ય વિભાગે શાળાને જરૂરી સૂચનો પાઠવ્યા છે. ઇન્ચાર્જ આરોગ્ય અધીકારી ડો.એ.કે. તાવિયાડે જણાવ્યું કે, 26મી સ્પટેમ્બરે ફૂડ પોઇઝનિંગ થયા બાદ કાલોલની અમૃત વિધાલયના 63 બાળકો અસરગ્રસ્ત થયા હતા. મેડિકલ ટીમોને તપાસ કરીને ટાંકીમાંથી 5 પાણીના સેમ્પલ લીધા હતા. જે નમૂનામાંથી 3 પાણીના નમૂના ફેલ આવ્યા છે. જેથી શાળાને પાણી શુધ્ધ અને ક્લોરિનેશનવાળું ઉપયોગ કરવામાં આવે તેવા સુચનો આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:28 am

ભાસ્કર એક્સક્લુઝિવ:200 પ્રાથ.શાળાના શિક્ષકો બીએલઓ : બાળકોને વેકેશન

પંચમહાલમાં 13 લાખ જેટલા મતદારોની એસઆ ઇઆર મુજમ મતદારયાદી સુધારણા માટે જિલ્લાની 1380 પ્રાથમીક શાળાઓ માંથી 1100 શિક્ષકોને બીએલઓ તરીકેની ફરજ આપી છે. શિક્ષકો બાળકોને અભ્યાસ સાથે એસઆઇ આરની કામગીરી કરતા હતા. ત્યારે બાદ તમામ બીએલઓને પુરો સમય મતદાર યાદી સુધારણાની કામગીરી સોપતા શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઘટતા બાળકોના અભ્યાસ પર અસર જોવા મળી હતી. એસઆઇ આરની કામગીરી વેગવંતી બનાવવા બીએલઓની સાથે સહાયક મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી તંત્ર દ્વારા જિલ્લાની 1,380 પ્રાથમિક શાળાઓ માંથી 200 ઉપરાંત શાળાના સંપૂર્ણ શિક્ષકોની બીએલઓ સહાયત તરીકેના હુકમો કરી દેવામાં આવ્યા છે. આવી 40ટકા શાળાના શિક્ષકો સહાયક તરીકેની કામગીરીમાં જતા શાળામાં શિક્ષકો ના હોવાથી બાળકોનુ શિક્ષણ ખોરંભે પડ્યુ છે. શાળાના તમામ શિક્ષકોને સહાયકમાં ઓર્ડર કરતાં શિક્ષકોની શાળા બંધ કરવી કે નહિ તેની મુંઝવણમાં મુકાઇ ગયા છે. ત્યારે જિલ્લાની 40 ટકા શાળાઓના શિક્ષકોની સહાયક તરીકે મુકાતા જિલ્લાના તમામ શિક્ષક સંધ દ્વારા વિરોધ કરીને શાળામાં બે કે ત્રણ શિક્ષકોની શાળા અભ્યાસ માટે રાખીને એસઆઇ આરની કામગીરી કરાવે તેવી માંગ કરી છે. શિક્ષણની સાથે એટીવીટીની કામગીરી પણ ઠપરાજ્યમાં એસઆઇઆરની કામગીરીમાં પંચમહાલ જીલ્લો 25 મા નંબર પર છે. આમ જિલ્લામાં એસઆઇઆરની ધીમી કામગીરીને ઝડપી બનાવવા બીએલઓ સાથે સહાયક મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના લીધે જિલ્લાની 200 થી વધુ શાળાઓના તમામ શિક્ષકોને સહાયક તરીકેના હુકમો કરવામાં અાવ્યા છે. જેના લીધે શાળાઓમાં વર્ગખંડમાં શિક્ષકો વગર બાળકો બેસી રહ્યા હતા. તેમજ એટીવીટી વિભાગમાં એસઆઇઆરને લગતી કામગીરી કરવા અરજદારો દાખલા કઢાવવા આવતા એટીવીટીમાં કોમ્પયુટર ઓપરેટર ન હોવાથી તેઓને ધક્કા ખાવાની નોબત આવી છે. જિલ્લામાં એસઆઇઆરની કામગીરી ઝડપી કરવા આયોજન વગર શાળાઓના શિક્ષકોને કામગીરી સોપતા બાળકોના અભ્યાસ પર અસર પડી છે. સહાયક તરીકેના હુકમથી અભ્યાસ બગડે છેપંચમહાલમાં 1380 પ્રા.શાળાઓમાં મોટા ભાગના શિક્ષકોને બીએલઓની કામગીરી સોપી દીધી છે. આજે જિલ્લાની 40 ટકા શાળાઓના તમામ શાળાઓના શિક્ષકોને સહાયક તરીકેના હુકમ કરતા બાળકોના અભ્યાસ બગડી રહ્યો છે. જેથી જિલ્લા કલેકટરને રજુઆત કરીશુ કે 5 શિક્ષકો ધરાવતી શાળાઓમાંથી 3 શિક્ષકોની બીએલઓની કામગીરી અાપે જેથી એસઆઇઆરની અને બાળકોના અભ્યાસ બંને કામગીરી થાય. - અરવિંદસિંહ પરમાર, ચેરમેન, શિક્ષણ વિભાગ

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:26 am

રાઇનું વાવેતર વધ્યું:મહેસાણામાં રવી સિઝનનું 30% વાવેતર પૂર્ણ

મહેસાણા જિલ્લામાં રવી સિઝનમાં 1,80,476 હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે 55,695 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે. એટલે કે અંદાજ સામે સિઝનનું 30.86% વાવેતર થયું છે. ગત વર્ષે 21400 હેક્ટરમાં થયેલા રાઇના વાવેતર સામે ચાલુ સાલે 21676 હેક્ટરમાં વાવેતર થયું છે. બહુચરાજીમાં 58.94% અને ખેરાલુમાં 58.24% વાવેતર અંદાજની સરખામણીમાં સૌથી વધુ વાવેતર થયું છે. જ્યારે વિજાપુર તાલુકામાં માત્ર 10.56% જ વાવેતર થયું છે, જે સૌથી ઓછું છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 55695 હેક્ટર થયેલા વાવેતરમાં પાક પ્રમાણે સ્થિતિ જોઇએ તો, અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ 21676 હેક્ટરમાં રાઇના પાકનું વાવેતર થઇ ચૂક્યું છે. આ ઉપરાંત ઘઉંનું 11563, ઘાસચારાનું 10742, તમાકુનું 4291, શાકભાજીનું 2480, બટાટાનું 1176, અજમાનું 959, વરિયાળીનું 887, સવાનું 712, ચણાનું 501, લસણનું 319, મકાઇનું 197, ધાણાનું 94, ડુંગળીનું 38, મેથીનું 35, જીરૂનું 14 અને અન્ય પાકોનું 11 હેક્ટરમાં વાવેતર થયું છે. તાલુકાવાર વાવેતરની સ્થિતિ જોઇએ તો, બહુચરાજીમાં 9404 હેક્ટર સાથે સૌથી વધુ 58.94% વાવેતર થયું છે. આ ઉપરાંત ખેરાલુમાં 8276 હેક્ટર સાથે 58.24%, સતલાસણામાં 4541 હેક્ટર સાથે 44.55%, જોટાણામાં 3042 હેક્ટર સાથે 38.70%, વિસનગરમાં 7325 હેક્ટર સાથે 36.19%, ઊંઝામાં 3458 હેક્ટર સાથે 34.08%, વાવેતર થયું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:23 am

કાર્યવાહી:ખેરાલુમાં રોયલ્ટી પાસ વિના ખનીજ ભરીને જતાં બે ડમ્પર ઝડપાયા

ખેરાલુના સિદ્ધપુર સર્કલ પરથી મહેસાણા ખાણ ખનીજ વિભાગની ટીમે રોયલ્ટી વિના પથ્થરનો ભૂકો ભરીને જઈ રહેલા બે ડમ્પરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી પ્રતીક શાહ અને તેમની ટીમ ખેરાલુ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સિદ્ધપુર સર્કલ પાસે અધર બિલ્ડીંગ સ્ટોન ડસ્ટ (પથ્થરની ભૂકી) ભરીને જઈ રહેલા બે ડમ્પરને અટકાવતાં, બંને પાસે રોયલ્ટી પાસ હતો નહીં. ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમ બંને ડમ્પરને વડનગર પોલીસ મથકે લઈ ગઈ હતી અને ત્યાં બંને ડમ્પરના માલિક પાસેથી રૂ.4.80 લાખનો દંડ વસૂલ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:20 am

ચારેક દિવસમાં કામગીરી પૂરી કરી ટેસ્ટિંગ બાદ સિગ્નલ ચાલુ કરાશે:રાધનપુર ચોકડી પર 14 ટ્રાફિક સિગ્નલથી વાહન નિયમન થશે

મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કેબલ નખાઇ ગયા પછી હાલ નવા ત્રણ પોલ સિગ્નલ માટે ઊભા કરી, કંટ્રોલ પોઇન્ટથી ટ્રાફિક સિગ્નલ કાર્યરત થશે. છેલ્લા ઘણા સમયથી મંથરગતિએ ચાલતી કામગીરી હવે આગામી ચારેક દિવસમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થશે અને ટેસ્ટિંગ બાદ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ઓનિક્સ એજન્સીના પ્રોજેક્ટ મેનેજરે કહ્યું કે, રાધનપુર ચોકડી કેબલ નેટવર્કિંગ કરી દેવાયું છે. હયાત 11 પોલ છે, વધુ ત્રણ પોલ સિગ્નલ માટે નાંખવાના છે. જેમાં બે પોલ સર્કલ વચ્ચે અને એક પોલ સ્વામિનારાયણ મંદિર સાઇડ લાગશે. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે અને ટેસ્ટિંગ કરી ટ્રાફિક સિગ્નલ ચાલુ થશે. દરેક સાઇડથી બે પોલ પર સિગ્નલ જોઇ શકાશે રાધનપુર ચોકડી પર ચારેય બાજુથી આવતાં જતાં વાહનચાલકો તેમની બાજુથી બે પોલ ઉપર સિગ્નલ જોઇ શકશે. એટલે, ચાર બાજુના 8 પોલ ઉપર સિગ્નલ લાગશે. આ ઉપરાંત પગપાળા કે સાયકલ લઇને રોડ ક્રોસિંગ માટે પણ પોલ ઉપર સિગ્નલ લાગશે. કુલ મળીને 14 પોલ ઉપર સિગ્નલમાં પીળી, લીલી અને લાલ લાઇટ લાગશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:19 am

ભાસ્કર વિશેષ:ઉ.ગુ.યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં મર્યાદિત સંખ્યા માટેએક કોલેજમાંથી હવે માત્ર 32 છાત્ર ભાગ લઈ શકશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો સૌથી મોટો શૈક્ષણિક ઉત્સવ એટલે કલ્પવૃક્ષ યુવક મહોત્સવ. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી 1500થી વધારે વિદ્યાર્થીઓ અને 500થી વધુ સ્ટાફ કર્મચારીઓ ત્રણ દિવસ સુધી કેમ્પસમાં રોકાઈને 25 જેટલી ઇવેન્ટોમાં ભાગ લઈ મનોરંજન મેળવવાની સાથે પોતાનું કૌશલ્ય માટે પ્લેટફોર્મ મેળવી શકે છે. આ વર્ષે કલ્પવૃક્ષ-2025 યુવક મહોત્સવનું તા.8, 9 અને 10 જાન્યુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે છાત્રોનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી 15 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન થશે. આ વખતે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઇઆરપી અંતર્ગત યુનિવર્સિટીના રમતગમત વિભાગ દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ રાખીને માત્ર ઓનલાઇન જ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. જેથી કોલેજોને હવે કેમ્પસમાં આવીને રજિસ્ટ્રેશન કરવાના બદલે કોલેજના સંચાલકોને આપવામાં આવેલા તેમના લોગીન અને આઈડી પાસવર્ડ દ્વારા કોલેજમાં બેઠાં બેઠાં જે છાત્રો જે ઇવેન્ટમાં ભાગ લેવા માંગે છે તેમનું રજીસ્ટ્રેશન કરી શકશે તેમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું. મહોત્સવમાં 25 ઇવેન્ટો યોજાનાર છેયુવક મહોત્સવમાં 25 જેટલી ઇવેન્ટો યોજાનાર છે. પરંતુ તમામ કોલેજોના વિદ્યાર્થીઓને લાભ મળી શકે અને મર્યાદિત સંખ્યા મહોત્સવમાં ભાગ લઈ શકે તેવા ઉદ્દેશથી યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજોમાંથી 32 વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે. તેનાથી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ વિદ્યાર્થીઓનો રજીસ્ટ્રેશન અને મહોત્સવમાં ભાગ લેવાનું નિ:શુલ્ક રખાયું છે. આ રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓને નહીં, પરંતુ કોલેજના સંચાલક, આચાર્ય દ્વારા ઓનલાઈન કરી શકશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:18 am

ભાસ્કર ઈનસાઈડ:દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલ સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી

દૂધસાગર ડેરીની ચૂંટણી આગામી 7 ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં 24 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂધસાગર ડેરી દ્વારા આપવામાં આવેલા ઠરાવોને પગલે પ્રસિદ્ધ કરાયેલી કામચલાઉ મતદાર યાદી જાહેર થયા બાદ વાંધાઓની સુનાવણી પછી 3 મત નવા ઉમેરાતા અને 7 મત કમી થતાં 1048 મતદારોની આખરી ફાઇનલ મતદાર યાદી ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ દ્વારા પ્રસિદ્ધ કરાઇ હતી. મંગળવારે ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. જે મુજબ 24 નવેમ્બર જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બીજા દિવસે 24 નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે અને 25 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે. 26 નવેમ્બરના રોજ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે અને 27 નવેમ્બરે ભરેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 28 નવેમ્બરે હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે અને અને જરૂર જણાય તો 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. વિપુલ ચૌધરી સહકાર પેનલ ઊભી કરીને ચૂંટણી લડાવશે આમ તો દૂધસાગર ડેરીની ગત ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોની સામે વિપુલ ચૌધરી દ્વારા પોતાની પેનલ ઉતારવામાં આવી હતી. પરંતુ સાગરદાણ કૌભાંડમાં તેમને થયેલી સજા ઉપર સ્ટે આપવાની અરજી કોર્ટે ફગાવી દેતાં તેઓ આ વખતે ચૂંટણી લડી શકવાના નથી. પરંતુ, સહકારી ક્ષેત્ર અન્ય તમામ રાજકારણીઓ ભેગા મળીને ભાજપ સમર્થિત ઉમેદવારની સામે પોતાની સહકાર પેનલ ઊભી કરી અને ચૂંટણી લડીને ટક્કર આપશેનું જાણવા મળ્યું છે. એક આગેવાનના જણાવ્યા મુજબ, સહકાર પેનલને ચૂંટણી લડાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી મીટિંગોનો દોર ચાલુ છે, ગુપ્ત રણનીતિ ઘડવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:17 am

ભાસ્કર ઈનસાઈડ:ઊંઝામાં કાગળ પર પેઢી બનાવી સાયબર ફ્રોડના કરોડોના વ્યવહારનું કૌભાંડ: માત્ર રૂ.400 કમિશન લઇ બેન્ક એકાઉન્ટ ભાડે આપતા હતા

એક લાખ રૂપિયા ઉપર રૂ.400 જેટલા મામૂલી કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપવાનું મોટા કૌભાંડનો મહેસાણા સાઈબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુજરાત સહિત અન્ય 7 રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના રૂપિયા પણ ભાડેથી લેવાયેલા આ એકાઉન્ટમાં જમા થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સાયબરના ગુનામાં છેતરાયેલા લોકોના રૂ.1.11 લાખ ખોટી રીતે ખોલેલા એકાઉન્ટમાં જમા થયા બાદ તેને વાપરી નાખનાર અને ખેત પેદાશનો વેપાર કરતી માત્ર કાગળ ઉપર પેઢી બનાવી તેનું એપીએમસીના સર્ટિફિકેટને આધારે ખોટું એકાઉન્ટ અન્યના નામનું ખોલાવી ઓપરેટ કરી તેમાં ફ્રોડ સહિત હવાલાના રૂપિયા નખાવનાર અને એકાઉન્ટધારક ઊંઝાના બે શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત સહિત બેંગ્લુરુ, પટના, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ અને રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં દાખલ થયેલ સાયબર ક્રાઇમની 7 ફરિયાદો અંતર્ગત ઓનલાઈન જેમની સાથે છેતરપિંડી થઈ છે તેમના નાણાં ઊંઝાની બંધન બેંકના ખાતામાં ટ્રાન્જેક્શન થઈને જમા થયા હોવાની નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપરથી મહેસાણા સાઈબર ક્રાઇમ પોલીસને માહિતી મળી હતી. જેને આધારે બંધન બેન્કના 1019000 8433640 નંબરના એકાઉન્ટની તપાસ કરતાં તેમાં 1 એપ્રિલ 2024થી 5 નવેમ્બર 2025 સુધીમાં રૂ.8.53 કરોડનું ટર્નઓવર થયેલું હતું. જે પૈકી રૂ.8.37 કરોડ આ ખાતામાંથી સેલ્ફ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સહિતના સાત રાજ્યોમાં બનેલા સાયબર ફ્રોડના બનાવોના રૂ.1,11,334 પણ જમા થયા હતા અને આ રૂપિયા પણ આજ રીતે ઉપાડવામાં આવ્યા હોવાનું બહાર આવતાં પોલીસે આ એકાઉન્ટની વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હિતેશ ટ્રેડર્સ (એસએફ 252, એસ9 કોમ્પ્લેક્સ, હાઇવે) ઊંઝાના નામે 14 મે 2020થી એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ કરંટ એકાઉન્ટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉનાવાના 211 નંબરના લાયસન્સને આધારે ખોલ્યા બાદ જનરલ કમિશન એજન્ટ અને આ પેઢીના ડાયરેક્ટર તરીકે રાવળ હિતેશભાઈ મહેન્દ્રભાઈનું નામ હતું. જેને આધારે પોલીસે હિતેશ રાવળની ધરપકડ કરી, પૂછપરછ કરતાં આ એકાઉન્ટ ખોલવા માટે ઉનાવા એપીએમસીમાં પેઢી ધરાવતા પટેલ ચિરાગ મહેન્દ્રભાઈએ હિતેશ રાવળ અને પિયુષ કાંતિભાઈ પટેલ (રહે. શુભ રેસિડેન્સી, 80 ફૂટ રીંગ રોડ, ઊંઝા) બંને ભાગીદારો હોવાથી પિયુષભાઈના કહેવાથી તેમણે ગેરંટર તરીકે સહી કરી હતી. મહેસાણા જિલ્લાના 100થી વધુ ખાતાઓમાં ક્રિકેટ સટ્ટા, હવાલા, ગેમિંગ અને સાઈબર ફ્રોડના નાણાં જમા થયા છે જેમના ખાતામાં શંકાસ્પદ લાખો કરોડોના ટ્રાન્જેક્શન થયા છે તેવા મહેસાણા જિલ્લાના અલગ અલગ શહેરોના 100 જેટલા બેન્ક એકાઉન્ટની સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બેંક એકાઉન્ટમાં લાખો કરોડો રૂપિયા ક્રિકેટ સટ્ટા,ગેમિંગ અને હવાલાના તેમજ સાયબર ફ્રોડના ટ્રાન્સફર થયા હોવાનું પોલીસ માની રહી છે. આ બેંક એકાઉન્ટની તપાસ બાદ પુરાવા મળતાની સાથે જ આ બેન્ક એકાઉન્ટના ધારકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ સાયબર ક્રાઈમ પોલીસ કહી રહે છે. રુપિયાની કોઈ લિમિટ ન હોવાથી એપીએમસીની પેઢીના નામે ખાતુ ખોલાવ્યું સામાન્ય રીતે બેંકમાં એકાઉન્ટ ધરાવતા કોઈપણ એકાઉન્ટ ધારકને તેના ખાતામાં રૂ.50 હજારની રોકડ પણ જમા કરાવી હોય અને ઉપાડવી હોય તો પાનકાર્ડ રજૂ કરવું પડે છે. પરંતુ એપીએમસીમાં ખેતપેદાશનું વેચાણ કરતી પેઢીના નામનું કરંટ એકાઉન્ટ હોય તો તે વેપારીને રોજેરોજ ખેડૂતોને લાખો રૂપિયા ખેતપેદાશ વેચાણના ચૂકવવાના હોવાથી તે તેના એકાઉન્ટમાં જમા પણ કરી શકે છે અને ઉપાડી પણ શકે છે. આથી ઉનાવા એપીએમસીના સર્ટિફિકેટને આધારે માત્ર કાગળ ઉપર જ હિતેશ ટ્રેડર્સ નામની એપીએમસીમાં વેપાર કરતી પેઢી ઊભી કરીને તેના નામનું કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં લાખો કરોડોના ટ્રાન્જેક્શન પિયુષ પટેલ દ્વારા કરાયા છે ઊંઝામાં આઇસ્ક્રીમ પાર્લરમાં નોકરી કરતા હિતેશને ઇન્કમટેક્સ વિભાગે રૂ.32 કરોડની નોટિસ આપી છે કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન જેના ખાતામાં થયું છે તે હિતેશ રાવળ ઊંઝા શહેરમાં આવેલા આઈસ્ક્રીમના પાર્લરમાં રૂ.10 હજારના પગારથી નોકરી કરે છે. તેના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવા છતાં પણ આઇટી રિટર્ન ન ભરતાં ઇન્કમટેક્સ વિભાગે તેને રૂ.32 કરોડની નોટિસ આપી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. રૂ.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:15 am

જામીન નામંજૂર:પાટણમાં આરોપીએ પિતાનું 9 વર્ષ પહેલાં મોત છતાં બીમાર બતાવી જામીન માંગતા નામંજૂર

પાટણ શહેરમાં 2024માં નોંધાયેલા માદક દ્રવ્ય ( એન.ડી.પી.એસ.) કેસમાં લગભગ એક વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા નિઝામુદ્દીન ઉર્ફે બાબુ સિદ્દીકભાઈ સોલંકીએ પોતાના વૃદ્ધ અને નાદુરસ્ત માતા–પિતાની સારવાર તેમજ પરિવારના ભરણપોષણના કારણો દર્શાવ્યાં વચગાળાના જામીન અરજી પાટણ સેશન કોર્ટમાં કરી હતી.પરતું કોર્ટની તપાસમાં જાણવા મળ્યું કે તેના પિતાનું તો 9 વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું છે. જેથી કોર્ટે જામીનના મંજૂર કર્યા હતા. તપાસ અધિકારીએ કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે આરોપીની માતાએ પોતાના નિવેદનમાં જ સ્પષ્ટ કર્યું છે કે પતિ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. આ હકિકતને અનુરૂપ આરોપીનાં પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર પણ કોર્ટમાં રજૂ થયેલું. એટલું જ નહીં, આરોપીના 4 ભાઈઓ હોવાથી માતાની સંભાળ માટે તેની હાજરી જરૂરી ન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું જેથી કોર્ટે નોંધ્યું કે અગાઉ પણ આરોપીની વચગાળાના જામીન અરજી આ જ કારણસર નામંજૂર થઈ ચૂકી છે, છતાં કોઈ નવું કારણ વિના ફરી અરજી કરી. ગંભીર પ્રકારના એનડીપીએસ આરોપો તથા ખોટું કારણ બતાવવાની હકીકતને ધ્યાને લેતાં કોર્ટે તેને વચગાળાના જામીન આપવા ઇનકાર કર્યો છે. 2024માં પાટણ પોલીસએ 4 વ્યક્તિઓને 2,48,900ના ગાંજા સહિત કુલ 4,65,920ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ આરોપી હજુ પકડાયા નથી. કેસ હાલમાં સ્પેશિયલ NDPS કોર્ટમાં વિચારાધીન છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:11 am

ભાસ્કર ખાસ:કિડની, લીવર, થાઇરોઇડ, ડેન્ગ્યુના રિપોર્ટ ખાનગીમાં રૂ.200થી 700માં થતા ટેસ્ટ સિવિલમાં નિ:શુલ્ક થાય છે

પાટણ હોસ્પિટલોનું શહેર પણ કહેવાય છે. અહીંયા હોસ્પિટલોની વધુ સંખ્યાને લઇ આવતા દર્દીઓ મોંઘીદાટ ફી ભરીને ખાનગીમાં રિપોર્ટ કરાવતા હોય છે. જ્યારે આ જ બધાં મહત્વના ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં અધતન મશીન સાથેની લેબોરેટરી વિભાગમાં નિ:શુલ્ક થઈ રહ્યા છે. અંદાજે 80 જેટલા ટેસ્ટ નિ:શુલ્ક થતા હોય માત્ર એક વર્ષમાં 4 લાખ કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવારની સુવિધા સાથે 80 પ્રકારના ટેસ્ટ નિ:શુલ્ક થાય છે. વર્ષ 2025માં હિમોગ્લોબીન 21485, સીબીસી 22485, થાઇરોઇડ 382, ચરબીના રિપોર્ટ 207, ડાયાબિટીસ 3 માસનો રિપોર્ટ 325, સર્વાઈકલ કેન્સર 25 અને એનીમિયા 14 રિપોર્ટ મળી કુલ 80 પ્રકારના 4 લાખથી વધુ રિપોર્ટ વર્ષ દરમિયાન કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ પાટણ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવે છે. પેથોલોજીસ્ટ ડો.પાયલ દેસાઈએ જણાવ્યું હતું કે પાટણ સિવિલ હોસ્પિટલમાં કુલ 80 પ્રકારના વિવિધ રિપોર્ટ નિઃશુલ્ક કરવામાં આવે છે.તેમજ દરરોજ 100 આસપાસ જેટલા રિપોર્ટ કરવામાં આવે છે. હોસ્પિટલમાં કુલ ટેસ્ટિંગ માટેના 5 જેટલા મશીનો ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:08 am

તપાસ:પાટણમાં છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા પકડાયેલા આરોપીની તપાસ

દિલ્હી બ્લાસ્ટ અને ગુજરાતમાંથી આતંકીઓ પકડાયાં બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ત્યારે છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ નાર્કોટિક્સ, વિસ્ફોટક પદાર્થ, આમૅસ, ટાડા અને પોટા, ઓઇલ લાઈનમાં પંચર કરી ઓઇલની ચોરી અને નકલી ચલણી નોટના કેસ જેમની સામે નોંધાયા છે. તેવા પાટણ જિલ્લા ના 500થી વધુ આરોપીઓની જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયીના માર્ગદર્શન નીચે પોલીસની 50થી વધુ ટીમો મારફતે તપાસ શરૂ કરી છે.આ આરોપીઓ હાલમાં ક્યાં રહે છે.? જે તે રહેણાંક પર જ છે કે બીજે ક્યાંય? હાલ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે? તે સહિતની તેમની વિગતો અપડેટ કરવામાં આવી રહી છે.અને તેનું ડોઝિયર બનાવી રાજ્યના પોલીસ વડાને મોકલી અપાશે.માત્ર 100 કલાકમાં જ તમામની તપાસ કરી નવી વિગતો સાથેનો રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ કરાશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં આવી પ્રવૃત્તિમાં પકડાયેલા પાટણ જિલ્લાના 500થી વધુ આરોપીઓ છે જિલ્લા બહારનાં અને રાજ્યનાં મળી કુલ 800 આરોપીઓ છે. હાલમાં જિલ્લાના આરોપીઓની તપાસ ચાલી રહી છે. જેમાં આરોપીઓ અને તેમનાં પરિવારની પણ વિગતો મેળવી રહ્યા છીએ. 60 ટકા આરોપીઓના રહેણાંક વિસ્તાર બદલી નાખ્યાં તપાસમાં નીકળેલા ટીમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 30 જેટલાં આરોપીઓ છે.ત્રણ ટીમો મારફતે તપાસ શરૂ કરી છે.પરંતુ 60 ટકા આરોપીઓએ તેમનાં રહેણાંક વિસ્તાર બદલી નાખ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.અહીંયા ઓછાં રહે છે.તેમના સરનામાં મેળવાશે.અને જ્યાં રહેતાં હોય તે પોલીસને મોકલી અપાશે.એટલે ત્યાંની પોલીસ તેમની વિગતો અપડેટ કરશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:07 am

રોડ બિસમાર હાલતમાં:પાટણમાં રિસરફેસિંગ કરેલ સુદામા ચોકડીથી રાજપુર સુધી રોડમાં 1 મહિનામાં ખાડા પડ્યા

પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર સુદામા ચોકડીથી રાજપુર સુધીના 3 કિલોમીટરનો રોડ લાંબા સમયથી બિસમાર પડ્યો હોય મોટા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાઇ રહ્યા હોય આ બાબતે કલેકટર સુધી રજૂઆતો થતા અંતે દિવાળી પૂર્વે એજન્સી દ્વારા 3 કિમીના રોડનું 3 કરોડના ખર્ચ રિસરફેસિંગ કરાયો હતો. હજુ રિપેરિંગની કામગીરી એક બાજુના ભાગમાં પૂર્ણ થતા દિવાળીના વેકેશનને લઈ કામગીરી બીજા તરફના ભાગની બાકી હતી જે તાજેતરમાં શરૂ કરી છે. ત્યારે હજુ એક મહિનાના સમય ગાળામાં જ પાટણ તરફથી ચાણસ્મા તરફ જવાના એક ભાગના રોડ ઉપર થયેલ રિસરફેસિંગ કામમાં રસ્તા ઉપર પાથરેલો ડામર ઉખડી જતા ફરીથી મોટા મોટા ખાડાઓ રસ્તા ઉપર પડી ગયા છે. તો ક્યાંક ડામર ઉખડી રસ્તા ઉપર પથરાઈ રહ્યો છે. હજુ બંને તરફના રોડની કામગીરી પૂર્ણ થાય પૂર્વજ એક તરફનો ભાગ ફરીથી તૂટવા લાગતા રોડની હાલત બિસમાર થતા એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની ગુણવત્તા અંગે વાહન ચાલકો દ્વારા પ્રશ્નાર્થ ઉઠાવ્યાં હતા. પાથરેલો ડામર ગરમ હોય બેસી જતો હોવાનો બચાવ કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટર જણાવ્યું હતું કે રસ્તામાં પડેલા જુના ખાડા ઊંડા અને મોટા હોવાથી તેના ઉપર પાથરેલો ગરમ ડામર બેસી જતા નવા ખાડા દેખાયા છે. હાલ તમામ ખાડાઓ ફરીથી પૂરી નાખવાની કામગીરી ચાલુ છે. બીજી તરફ રાજપુરથી પાટણ તરફના માર્ગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને કારણે કેટલાક સ્થળોએ સમયસર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સ્થળ પર કામગીરી યથાવત્ ચાલુ છે અને બંને બાજુના માર્ગને સંપૂર્ણ રીતે સુચારુ બનાવવા માટે વિભાગ દ્વારા દેખરેખ વધારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:06 am

ભાસ્કર એક્સક્લુઝિવ:પાટણ શહેર માર્ચ માસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યામાંથી મુક્ત બનશે

પાટણમાં 50000 વસ્તીને ધ્યાનમાં લઈને 20 વર્ષ પૂર્વે બનાવેલી ભૂગર્ભ ગટરો સામે વર્ષો વર્ષ વસ્તીનો વસવાટ વધતા કનેક્શન વધવાના કારણે પાણીના પ્રવાહ સામે ગટર લાઈનની ક્ષમતા ઓછી હોય શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ હોય પાલિકા દ્વારા ગટરની સમસ્યા દૂર કરવા જીયુડીસી દ્વારા અમૃત-2.0 અંતર્ગત ભૂગર્ભ શહેરના વિસ્તારોમાં 63 કિલોમીટર નેટવર્કમાં ગટરના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનો રૂ.70 કરોડના ખર્ચે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેની લાઇન પાથરવાની અત્યારે 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આગામી માર્ચ 2026માં સમગ્ર કામગીરી પૂર્ણ થતા શહેરને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે તેઓ આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. દરરોજ 10 ફરિયાદ નોંધાય છે‎‎પાટણ પાલિકામાં વિવિધ વિસ્તારોમાંથી‎દરરોજ ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદો‎નોંધાઈ રહી છે જેમાં પ્રતિદિન સરેરાશ ગટર‎ઉભરાવવાની ત્રણ,ગટરમાં ભંગાણ થવાની‎2 અને ગટરમાં પાણી વહન ન કરતું ના‎હોય એવી 5 સમસ્યા હોય છે. જેમાંથી‎નગરપાલિકા દ્વારા માંડ એક કે બે જેટલી‎સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.‎ પાઇપલાઈનથી 5 પમ્પિંગમાં પાણી જશે ત્યાંથી નિકાલ થશેભૂગર્ભ ગટર પ્રોજેક્ટના એન્જિનિયર પિયુષ પાંડે જણાવ્યું હતું કે ડી.પી આર તૈયાર કરાયો છે. જે મુજબ 2026માં કામગીરી પૂર્ણ કરીશું. 2046 સુધીની વસ્તીને ધ્યાનમાં લઈને આ સમગ્ર પ્રોજેક્ટ થઈ રહ્યો છે. જેમાં 63 કિમીમાં 200થી 600 એમએમની પાઇપ લાઈનો અંડરગ્રાઉન્ડ ફીટ કરી 6 પંપિંગ સ્ટેશન સાથે કનેક્શન કરાશે. જેમાં પીતાંબર તળાવ, કરંડીયાવીર, સૂર્યનગર, હાંસાપુર નવું અને હાંસાપુર જૂનું તેમજ એક નવું જીઈબી નજીક પંપીંગ સ્ટેશન ઊભું કરાશે. આ તમામ પંપિંગ સ્ટેશનમાં ભૂગર્ભનું પાણી આવશે અને ત્યાંથી મોટર મારફતે માખણીયા એસટીપી પ્લાન ઉપર નિકાલ થશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:05 am

નવી આફત:દાંતા–પાલનપુર પંથકમાં મકાઈના પાન ઇયળો કોતરી ખાઇ ગઇ, ડોડા નહીં બેસે તો નુકસાન

પાલનપુર- દાંતાપંથકમાં ખેડૂતોએ રવિ સિઝનમાં મકાઇનું વાવેતર કર્યું છે. જોકે, તેના પાંદડા ઉપર ઇયળોનો ઉપદ્રવ વધી ગયો છે. પાંદડા ઇયળો કોતરી ખાઇ રહી હોવાથી જો ડોડા નહી બેસે તો ખેડૂતોને નુકશાન થવાની ભિતી છે. દરમિયાન બનાસકાંઠા ખેતીવાડા વિભાગે દવાનો છંટકાવ કરવા ખેડૂતોને ભલામણ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં નિરંતર વરસાદને કારણે બાજરી, મકાઇ, મગફળીનો પાક સડી ગયો હતો. ખેડૂતોએ ખેતરમાં જ રોટોવેટર મારી દાટી દીધો હતો. જે પછી રવિ સિઝનમાં બટાકા, મકાઇનું વાવેતર કર્યુ છે. જોકે, હવે ઇયળો રૂપી નવી આફત આવી છે. આ અંગે દાંતાના મનુજી ઠાકોર, કરીમભાઇ ઢુકકા, પાલનપુરના ધાણધાર પંથકના રમેશભાઇ ચૌધરી સહિત ખેડૂતોએ જણાવ્યું હતુ કે, મોટાભાગે મકાઇનો પાક કમર સુધી આવી ગયો છે. જોકે, પાંદડા ઉપર અસંખ્ય ઇયળોનો ઉપદ્રવ થયો હોવાથી પાન કોતરી ખાઇ જાય છે. જેના કારણે જો મકાઇના ડોડા નહી બેસે તો મકાઇના પાકમાં મોટુ નુકશાન થવાની શક્યતાઓ છે. દવાઓનો છંટકાવ કરીએ તો પણ જલ્દીથી ઇયળો મરતી નથી. ઈયળ ગરમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે‎વરસાદ પછી ગરમ–ભેજાળ વાતાવરણને કારણે ફોલ આર્મીવૉર્મ (ઈયળ)ની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. ખેતરોમાં મકાઈના પાન પર સફેદ રંગની રેખાઓમાં મળતા જીવંત ઈયળ પાંદડાંને છિદ્ર પાડતી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં 25 થી 40 ટકા સુધીના છોડોમાં ઉપદ્રવનો અંદાજ છે. : ભરત ચૌધરી (કૃષિ નિષ્ણાંત, પાલનપુર)

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:02 am

બ્રેનડેડ યુવકના શરીરમાં હિલચાલ:બ્રેનડેડ યુવકના અંગદાન પહેલાં જ હલનચલન જોતાં ‎પરિવારજનો ચોંકયા,ખાનગીમાંથી સિવિલ લઈ ગયા‎

પાલનપુર શહેરની માવજત હોસ્પિટલમાં તબીબોએ યુવકને બ્રેન ડેડ જાહેર કરીને અંગદાન માટેની તૈયારીઓ શરૂ કરાવી હતી, પરંતુ અંતિમ ક્ષણોમાં યુવકના હાથમાં હલનચલન દેખાતાં પરિવારજનોએ તાત્કાલિક નિર્ણય બદલી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.અંગદાનની ટીમ પણ હૃદય સહિતના તમામ અંગો લેવા આવનાર હતા તેવામાં ICUમાં હાથ હલ્યા બાદ સિવિલ હોસ્પિટલના ICU માં દાખલ કરાયો છે. આ લખાય છે ત્યાં સુધી મંગળવારે મોડી રાત સુધી વેન્ટિલેટર પર જ એડમિટ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પાલનપુર નજીક રવિવારે સાંજે 5.30 વાગ્યે ચિત્રાસણી નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા આગળ જતી મોટી ગાડી અચાનક બ્રેક મારતા રિક્ષા પાછળથી અથડાઈ હતી અને પાછળથી આવતી બાઈક રિક્ષામાં ઘૂસી જતાં ખાનગી મેડિકલ લેબમાં નોકરી કરતો બાઈક સવાર ચિરાગભાઈ મહેશભાઈ ચૌહાણ (ઉંમર 25)ને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તેમને તરત પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સ્થિતિ વધુ નાજુક બનતા તેમને શહેરની માવજત હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સોમવાર સવારે લગભગ 11 વાગ્યે સંભાળ રાખતી હોસ્પિટલના ડોક્ટર અર્પિત અગ્રવાલ દ્વારા ચિરાગભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા અંગદાન પ્રોટોકોલ મુજબ ખાસ ટીમને જાણ કરવામાં આવી અને તેમના પરિવારજનોને અંગદાન અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. પરિવારજનો માનવતાના હિતમાં અંગદાન માટે રાજી પણ થયા હતા. પરંતુ અંગદાન માટેની ટીમ મુંબઈથી આવનાર હોવાથી સમયસર પહોંચી શકી નહોતી. આ દરમિયાન પરિવારજનો દ્વારા અંતિમ કાયમી પ્રક્રિયાઓ પહેલાં ચિરાગભાઈની બોડીને ચેક કરવામાં આવી, ત્યારે તેમના હાથમાં હલનચલન દેખાતાં બધા જ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા પરિવારે તરત જ નિર્ણય બદલી યુવકને સારવારને પ્રથમ પ્રાથમિકતા આપતા તેને ફરીથી પાલનપુર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવ્યો હતો. હાલ તેની સ્થિતિ અંગે તબીબી મોનીટરીંગ ચાલી રહ્યું છે. દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે ત્યાં સુધી તેના‎અમુક અંગો હળવી મૂવમેન્ટ કરતા હોય છે: તબીબ‎માવજત હોસ્પિટલના મોહક અગ્રવાલે જણાવ્યું હતું કે કોઈપણ દર્દીને બ્રેન ડેડ જાહેર કર્યા બાદ, તેનો બ્રેન ડેડ ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. જ્યારે નીચેનો ભાગ જ્યાં સુધી દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે ત્યાં સુધી તેના અમુક અંગો હળવી મૂવમેન્ટ કરતા હોય છે. જ્યારે દર્દીના શરીર પરથી વેન્ટિલેટર હટાવવામાં આવે ત્યારે ધીમે ધીમે અંગો મૂવમેન્ટ કરવાનું બંધ કરી દે છે. દર્દી બ્રેન ડેડ છે પરિવારના કહેવાથી દાખલ કર્યું છે‎યુવકને મૃત જાહેર કર્યા હતા અને અહીં જીવતા લાવ્યા એવું હું ન કહી શકું.પેશન્ટ બ્રેન ડેડ છે.પરિવારના કહેવાથી એડમિટ કરવામાં આવ્યા છે. ડો.સુનિલ જોશી સુપ્રિટેન્ડેન્ટ સિવિલ ભાસ્કર ન્યૂઝ । પાલનપુર

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:01 am

લોકાર્પણની રાહ જોવાય છે:પાલનપુરમાં 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ બનીને તૈયાર

જિલ્લાના રમત સંકુલ ખાતે રૂ. 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તૈયાર કરાયો છે. આ એર કન્ડિશન્ડ હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ, 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ–વોલીબોલ કોર્ટ, કબડ્ડી અને ખો-ખો મેદાન જેવી આઉટડોર સુવિધાઓ પણ વ્યવસ્થિત રીતે તૈયાર છે. જરૂરી સુવિધા તરીકે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફાયર સિસ્ટમ, CCTV, સ્ટાફ રૂમ અને પાર્કિંગની સુવિધા પણ મૂકવામાં આવી છે.પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરએ જણાવ્યું કે આ સ્પોર્ટ્સ સંકુલ થકી રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે વધારો થશે. યુવાનોની પ્રતિભાને ગતિ મળશે અને પાલનપુરને નવુ માઇલસ્ટોન મળશે.હાલમાં તેના લોકાર્પણની રાહ જોવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:55 am

નવું બંધારણ:કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજે નવું બંધારણ, લગ્ન સાદગીથી કરી ત્રણ તોલા સોનું અને એક પાયલ આપવાનો નિર્ણય

કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજે નવું બંધારણ ઘડ્યું હતું ભાસ્કર ન્યૂઝ। પાલનપુર, થરા કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજની બેઠક થરા ખાતે શ્રી જલારામ મંદિરે યોજાઇ હતી. જેમાં વડીલો, યુવાનોએ સમાજમાં પ્રર્વતતા કુરિવાજો દૂર કરવા માટે નવું બંધારણ ઘડ્યું હતુ. લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં આર્થિક બાબતો ઉપર વિચાર કરી નવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નક્કી કરાયેલા નિયમો માત્ર ખર્ચામાં ઘટાડો નહીં લાવે, પરંતુ સમાજને આર્થિક તેમજ શૈક્ષણિક પ્રગતિ તરફ દોરશે. સમાજના દરેક આનંદ-ઉત્સવ અને વિધિ સાદાઈથી થશે. ખોટી પ્રથાઓ તથા અનાવશ્યક ખર્ચાઓ સંપૂર્ણ બંધ થશે. આ નિર્ણયને સમસ્ત સમાજે અમલમાં મુકવા સુર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે કટાવ ધામના મહા મંડલેશ્વર 1008 પૂજય જયરામ દાસ બાપુએ પણ સુથાર સમાજમાં કુરિવાજો બંધ થાય, વધારાના ખોટા ખર્ચા ન કરી સુથાર સમાજમા આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. લગ્ન–વિધિમાં ફેરફાર- ડીજે વરઘોડો સંપૂર્ણ બંધ - ફટાકડા ઉપર પ્રતિબંધ - મોટા જમણવાર ટાળીને સાદો પ્રસંગ - વેલકમ ડેકોરેશન બંધ - હલ્દી, કેક કટિંગ જેવી ફેન્સી રીતો બંધ - મંડપ સાદો રાખવાની ફરજ આર્થિક મર્યાદાઓ નક્કી કરાઇમામેરું : મહદઅંશે રૂપિયા 2,00,000 મોસાળું : રૂપિયા 51,000 મર્યાદિત દાગીના : 3 તોલા સોનું + 1 પાયલ પ્રિ-વેડિંગ વિડિયો – ફોટો ખર્ચા બંધ અનાવશ્યક શણગાર બંધ

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:54 am

ઉજવણી‎:આદિવાસી સમાજ દ્વારા ‘ગામ સાઈ ઇન્દ’ની ઐતિહાસિક ઉજવણી‎

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર‎તાલુકાના અંતરિયાળ ગામ‎ભેંસાવહી ખાતે આદિવાસી‎સમાજની વર્ષો જૂની અને અનોખી‎પરંપરા મુજબ ‘ગામ સાઈ ઇન્દ’ની‎ઐતિહાસિક ઉજવણી ધામધૂમથી‎ચાલી રહી છે. આ ઉત્સવ‎આદિવાસી સમાજની ધાર્મિક અને‎સાંસ્કૃતિક ઓળખનો એક‎મહત્વપૂર્ણ હિસ્સો છે. જે ગામ સાઈ‎ઇન્દની આન, બાન અને શાનને‎પ્રતિષ્ઠિત કરે છે.‎ પ્રાપ્ત માહિતી અનુસાર, ગામ‎સાઈ ઇન્દ એ આદિવાસી સમાજની‎એવી પરંપરા છે જેમાં‎આદિવાસીઓ તેમના‎દેવી-દેવતાઓ, પૂર્વજો તેમજ પ્રકૃતિ‎માતાની ભક્તિભાવ પૂર્વક‎પૂજા-અર્ચના કરે છે. આ ઉત્સવનું‎સૌથી મોટું આકર્ષણ એ છે કે આ‎મેળાનું આયોજન 60થી 70 વર્ષના‎લાંબા ગાળા બાદ થતું હોય છે. જેને‎‘દેવોની પેઢી બદલવાનો’ મેળો‎કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ‎દરમિયાન ગામના પૂજારી (બળવા)‎તેમજ પુંજારા દ્વારા દેવોના નવા‎ઘોડા અને નવા ખુટનું સ્થાપન‎કરવામાં આવે છે, જે નવી પેઢીમાં‎દેવતાઓના આશીર્વાદ અને‎પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે.‎ ગામ સાઈ ઇન્દના મેળા‎દરમિયાન ગામના લોકો તેમજ‎આદિવાસી સમાજના અન્ય‎વિસ્તારોમાંથી આવેલા ભક્તો‎પોતાના પારંપરિક પહેરવેશમાં‎સજ્જ થઈને જોડાય છે. મેળામાં‎ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે‎આદિવાસીઓ ઉમંગભેર પારંપરિક‎નાચ-ગાન કરીને ઉજવણીના‎માહોલને જીવંત બનાવે છે. સમગ્ર‎ભેંસાવહી ગામ અને આસપાસનો‎વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના‎રંગોમાં રંગાઈ ગયો છે.‎ આ પ્રકારના ઐતિહાસિક‎આયોજન થકી નવી પેઢીને પોતાની‎ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું‎જ્ઞાન મળે છે અને સમાજમાં એકતા‎તથા ભાઈચારાની ભાવના‎મજબૂત બને છે.‎

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:46 am

ડમ્પર છોડી મૂકાયું‎:રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર બે દિવસ બાદ‎ શિનોર મામલતદાર કચેરીમાંથી છોડી મૂકાયું‎

શિનોર મામલતદાર દ્વારા તાજેતરમાં રેતીથી‎ઓવરલોડ ભરેલા ડમ્પરો તથા એક ટ્રેકટરને‎ઝડપી પાડી મામલતદાર કચેરીમાં મુકાવી દીધા‎છે. જેમાંથી નંબર વગરનું એક ડમ્પર બે દિવસ‎પછી છોડી દેતાં શંકા કુશંકા વ્યાપેલ છે.‎ તાજેતરમાં ભારદારી ડમ્પરોના કારણે‎માલસર અને અશા વચ્ચેના માધવસેતુ પુલની‎હાલત બગડી હોવા સાથે શિનોરથી માલસરનો‎રસ્તો તદ્દન ભંગાર થઈ ગયાનો અહેવાલ‎પ્રકાશીત થયો હતો. સરકારી તંત્ર તથા ખાણ‎ખનીજ અને પોલીસ વિભાગ સામે માધવ સેતુ‎પુલ ઉપરથી રાત્રીના તથા દિવસના ઓવરલોડ‎ભરેલા ડમ્પરો કેમ ચાલવા દે છે, તે બાબતે હપ્તા‎લેવાતા હોવાની બુમ ઉઠી હતી. આ અહેવાલ‎ચમકતાં કેસ બતાવવા માટે મામલતદાર કચેરી‎એક્શનમાં આવી હતી અને તારીખ 12‎નવેમ્બરના રોજ રેતી ભરેલા બે પરમીટ વગરના‎ડમ્પરો અને એક ટ્રેક્ટરને ડીટેઇન કરાવીને‎મામલતદાર કચેરીમાં મૂકી દેવામાં આવ્યા હતા. ‎જેમાંથી એક ડમ્પરની આગળ અને પાછળ‎રજીસ્ટ્રેશન નંબર નહોતો. બે દિવસ પછી‎મામલતદાર કચેરીમાંથી નંબર વગરનું ડમ્પર‎છોડી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં‎મંગળવારે મામલતદાર શિનોરને વારંવાર‎ટેલીફોનિક પૂછપરછ માટે ફોન કરતાં કોઈપણ‎ફોન ઉપાડતું નહોતું. જ્યારે નંબર વાળું ડમ્પર‎કચેરીમાં પડેલ હતું. ડમ્પરો તથા ટ્રેક્ટર રેતીથી‎કાયદેસર ભરેલા હોત તો તેઓની પાસે પરમીટ‎હાજર હોત. પરમીટ ના હોવાના કારણે જ‎મામલતદાર દ્વારા ડીટેઇન કરીને મુકાવ્યા હોય‎એ હકીકત છે.‎ નંબર વગરનું કોઈ પણ વાહન એ ગેરકાનૂની‎ગણી શકાય અને પરમિટ વગર રેતી ભરીને‎જતું હોય તો તે વધુ ગુનો બને છે. મામલતદાર‎કચેરીમાંથી નંબર વગરનું ઓવરલોડ રેતી‎ભરેલું ડમ્પર છોડવામાં આવ્યું કે રાત્રિના સમયે‎કોઈ ઉઠાવી ગયું તે તપાસનો વિષય બનેલ છે.‎મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર‎વિશાલભાઈ એ ફોન પર જણાવ્યું કે ડમ્પરો‎બાબતે ખાણ ખનીજ વિભાગને જાણ કરેલ છે.‎

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:45 am

રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતને નવી દિલ્હી ખાતે પુરસ્કાર અપાયો:જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-25’ માં ગુજરાત દ્વિતીય સ્થાને

‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં મંગળવારે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જળ સંપત્તિ વિભાગના સચિવ પાર્થિવ સી.વ્યાસે ગુજરાત સરકાર વતી નવી દિલ્હી ખાતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ગુજરાત સરકારે જળ સંચાલન ક્ષેત્રે કરેલા ટકાઉ, નવીન અને જનકેન્દ્રિત પ્રયત્નોને પરિણામે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્રને પ્રથમ જ્યારે ગુજરાતને બીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષ 2024માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં પાણીના સ્ત્રોતોનું યોગ્ય આયોજન અને પાણીનું લોકલક્ષી નિર્ણય સાથે સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં જળ સ્ત્રોતોનું સંચાલનમાં ડેમ, બેરેજ, ચેકડેમ દ્વારા પાણીનું સંગ્રહ, વિતરણ અને પુનઃઉપયોગ માટે મજબૂત તંત્ર ઉભું કરાયું છે. વધુ પાણી ધરાવતા વિસ્તારોથી પાણી ઉદ્દવહન કરી પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ભૂગર્ભ જળ રિચાર્જ અને ક્ષાર નિયંત્રણ થકી પાણીની તંગીવાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ્સ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલન જાળવવામાં આવ્યું છે. વધુમાં નાગરિક સહભાગિતા અને નવીન યોજનાઓના માધ્યમથી શુદ્ધ કરેલા ગંદાપાણીનો પુનઃઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને વ્યવસ્થાપનમાં સમુદાયની સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:31 am

દાઉદ ગેંગ સાથે સોદાના કેસમાં નવાબ મલિક સામે આરોપો ઘડાયા

હવે મલિક વિરુદ્ધ ખટલો ચાલશે પ્રોપર્ટી સોદા દ્વારા દાઉદ ગેંગને મની લોન્ડરિંગમાં મદદ કરી હોવાના આરોપો મુંબઈ - મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક ને દાઉદ ગેંગ સાથે પ્રોપર્ટી સોદા કરી મની લોન્ડરિંગમાં મદદ કરવાને લગતા કેસમાં આરોપો ઘડવામાં આવ્યા હતા. મલિકે પોતે આ કેસમાં દોષિત નહિ હોવાનું જણાવ્યું હતું. હવે આ કેસમાં ટ્રાયલ શરુ થશે.

ગુજરાત સમાચાર 19 Nov 2025 6:30 am

ભાસ્કર નોલેજ:મહત્ત્વાકાંક્ષી જળમાર્ગ પ્રોજેક્ટનો DPR ડ્રાફ્ટ સુપરત

કચ્છના દરિયાથી કૃત્રિમ કેનાલ બનાવી રાજસ્થાનના જાલોર જિલ્લાને ઇનલેન્ડ વોટર વેથી પોર્ટ બનાવવાના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં હવે નવી માહિતી બહાર આવી છે. રાજસ્થાનના જળ સંસાધન મંત્રી સુરેશ રાવતે મંગળવારે જણાવ્યું છે કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસે ઇનલેન્ડ પોર્ટ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)નો ડ્રાફ્ટ સુપરત કરી દીધો છે. જેનો અભ્યાસ રાજસ્થાન સરકારે ચાલુ કરી દીધો છે. રાજસ્થાન સરકારના સમર્થનથી કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટથી રાજ્યમાં વેપાર, ઔદ્યોગિક વિકાસ અને લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીને વેગ મળવાની અપેક્ષા છે. આ પહેલમાં રૂ. 10,000 કરોડથી વધુનો ડ્રેજિંગ ખર્ચ સામેલ છે અને તેનો હેતુ રસ્તાઓ અને રેલ્વે પર દબાણ ઘટાડીને કાર્ગોની અવરજવરને સરળ બનાવવાનો છે. આ પ્રોજેક્ટ કેવી રીતે આકાર લેશે તે ચકાસવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસને આંતરિક બંદર માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) કામ સોંપવામાં આવ્યું હતું. જેણે ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. રાજસ્થાન સરકારના અધિકારીઓ દ્વારા આ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ફિલ્ડ મુલાકાતો પછી, રાજ્ય ડ્રાફ્ટ પર ટિપ્પણીઓ આપશે, ત્યારબાદ અંતિમ DPR તૈયાર કરવામાં આવશે. અંતિમ અહેવાલના આધારે, પ્રોજેક્ટ આગળ વધશે. રાજસ્થાન બંદરના વિકાસ માટે લગભગ 14 કિમી જમીન પૂરી પાડશે તેવી અપેક્ષા છે. પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ અને હેતુઆ પ્રોજેક્ટ જાલોરને કચ્છના અખાત સાથે જોડતા 262 કિલોમીટર લાંબા જળમાર્ગ પર વિકસાવવામાં આવશે. આ પહેલ જવાઈ-લુણી-કચ્છનું રણ નદી પ્રણાલીને જોડશે, જેને ભારત સરકારે નેશનલ વોટરવે-૪૮ તરીકે જાહેર કર્યું છે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં વેપાર, ઔદ્યોગિક વિકાસ અને લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે, સાથે જ માર્ગો અને રેલવે પરનો બોજ ઘટશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન સરકારના સહયોગથી વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટમાં ડ્રેજિંગનો અંદાજિત ખર્ચ ₹ 10,000 કરોડથી વધુ છે. રાજસ્થાન સરકાર બંદરના વિકાસ માટે લગભગ 14 કિલોમીટર જમીન પ્રદાન કરશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આર્થિક અને ઔદ્યોગિક લાભ​​​​​​​મંત્રી રાવતે જણાવ્યું હતું કે ઇનલેન્ડ પોર્ટથી જાલોર, બાડમેર અને આસપાસના પ્રદેશોના ઉદ્યોગો માટે નવા રસ્તા ખુલશે. કાપડ, પથ્થર, કૃષિ ઉત્પાદનો, તેલીબિયાં, ગુવાર, કઠોળ અને બાજરી સહિતના ઉદ્યોગોને લાભ થશે. પચપદરા (બાલોતરા)માં ચાલી રહેલા HPCL-રાજસ્થાન ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટને પણ વધુ ઝડપી અને ઓછા ખર્ચે પરિવહનનો ફાયદો મળશે.પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ સૂચવે છે કે આ પ્રોજેક્ટ રાજસ્થાન, ગુજરાત અને નજીકના વિસ્તારોમાં 50 હજાર થી વધુ રોજગારીની તકો ઊભી કરી શકે છે. આ સીધી દરિયાઈ કનેક્ટિવિટીથી રોકાણકારો આકર્ષિત થશે અને રાજ્યમાં નવા ઉદ્યોગો, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સની સ્થાપનાને પ્રોત્સાહન મળશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:27 am

લલિત કલા સ્પર્ધાનું આયોજન:પરિશ્રમ અને પરસેવો જ સફળતાનો સચોટ માર્ગ : વિદ્યાર્થીઓએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી

શહેરના ટાઉનહોલ ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક, સાહિત્યિક અને લલિત કલા સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સાથે વિદ્યાર્થીઓએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. કામધેનુ યુનિ. અંતર્ગત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા તા.18–19 નવેમ્બર દરમિયાન આંતર-મહાવિદ્યાલય સ્તરની સાંસ્કૃતિક, સાહિત્યિક અને લલિત કલા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું છે. રાજ્યની વિવિધ વેટરનરી, ડેરી તથા ફિશરીઝ સાયન્સ કોલેજોમાંથી અંદાજે 400 વિદ્યાર્થી તેમજ 40 પ્રાધ્યાપકો આ બે દિવસીય સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. કુલ 15 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ દેશમુખ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા. સાથે જ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સંચાલક મનોજભાઈ સોલંકી જોડાયા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. ટાંકે ભુજ શહેર અને કચ્છ જિલ્લાના નાગરિકો તરફથી વેટરનરી કોલેજને મળતા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે પરિશ્રમ અને પરસેવો જ સફળતાનો સચોટ માર્ગ છે. દિલીપભાઈ દેશમુખે વક્તવ્યમાં અંગદાનનું મહત્વ રેખાંકિત કર્યું અને તમામ યુવા વિદ્યાર્થીઓને ઓર્ગન ડોનેશન માટેના ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા પ્રેરણા આપી હતી. વલમજીભાઈ હુંબલે કચ્છ ડેરીના વિકાસની સફર વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવી હતી તથા કચ્છ જિલ્લામાં પશુચિકિત્સા ક્ષેત્રમાં ઉપલબ્ધ ઉજળી તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. મનોજભાઈ સોલંકીએ કામધેનુ યુનિવર્સિટી હેઠળ નવી સ્થાપિત કોલેજની ઝડપી પ્રગતિ અને સેવા વિસ્તરણની પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમમાં કચ્છના અગ્રણીઓ, પ્રાણી પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ, પ્રબુદ્ધ અને પ્રભાવી નાગરિકો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:24 am

‘સરદાર@150 : યુનિટી માર્ચ’:સરદાર પટેલના વિચારોને અનુસરી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરાયો

રાષ્ટ્રવ્યાપી ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ના ભાગરૂપે ભુજમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલના વિચારોને અનુસરી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરાયો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર આનંદ પટેલ તેમજ અગ્રણી દેવજીભાઈ વરચંદ સહિતનાએ એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજના ધારાસભ્યએ ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન કવનને વાગોળતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે કૂનેહથી સાડા પાંચસો રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું હતું. તેમણે સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈને પોતાના નિર્ણયો પર અડગ રહેવાનો યુવાનોને સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે વર્ષ 1971ના યુદ્ધમાં પોતાનો સહયોગ આપનાર વીરાંગનાએ પણ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ભુજમાં તૈયાર થઈ રહેલા સરદાર સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એકતાયાત્રાના સમાપન પોઈન્ટ જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતાં. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભરતસિંહ ભાટેસરીયા, ધવલ આચાર્ય, પારૂલબેન કારા, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી અને તાલુકા પંચાયતના સભ્ય તુષાલીબેન વેકરીયા સહિત પદાધિકારીઓ અને આગેવાનો કૂચમાં જોડાયા હતાં. તાલીમી સનદી અધિકારી એમ.ધરિણી, નિવાસી અધિક કલેકટર ડી.પી. ચૌહાણ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ કમાન્ડન્ટ, પોલીસ જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનો અને મહિલાઓએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:23 am

સિટી એન્કર:ખાસ મતદારયાદી સુધારણા : 2002 બાદના લગ્નના કિસ્સામાં પુત્રવધૂની ઓળખ પતિના નહી પણ પિયરના કાગળો પર નિર્ભર

કચ્છ સહીત ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવીઝનની કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ મુશ્કેલીઓ કચ્છ અને ગુજરાતની પુત્રવધુઓને થઇ રહી છે. ચુંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેવી મહિલાઓ અને પુત્રવધુને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીના રહેઠાણ અને મતદાન બુથની વિગત ગણતરી ફોર્મમાં લખવી અનિવાર્ય છે. જે મહિલાના લગ્નને 2૦ વર્ષનો સમયગાળો વીતી ગયો છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને સંપતિમાં પણ તેના પતિનું નામ આવી ગયું છે. પણ હવે ચુંટણી પંચ કહે છે કે ગણતરી ફોર્મમાં તો તમારા માતા-પિતા અથવા દાદા-દાદીના રહેઠાણના પુરાવા તેમજ તે 2002ની મતદાર યાદી પ્રમાણે ક્યાં બુથમાં મતદાન કરતા હતા, તે બુથનું નામ, ભાગ અને ક્રમાંકની વિગત ગણતરી ફોર્મમાં લખવી પડશે, તે સિવાય તેમનું નામ નવી મતદાર યાદીમાં સામેલ નહી થાય. કચ્છ સહીત ગુજરાતની અનેક એવી પુત્રવધુઓ છે, જેમનો પરિવાર મૂળ મુંબઇ-મહારાષ્ટ્ર કે આદિવાસી રાજ્યો કે અન્ય રાજ્યનો છે, પણ તેમના લગ્ન કચ્છમાં થાય છે, 2002 બાદ તેમનો પરિવાર ગુજરાતમાં સ્થાઈ થયો છે. એટલે 2002માં કચ્છની પુત્રવધુનો પરિવાર ગુજરાતનો વતની ન હતો એટલે મતદાર યાદીમાં તેમના પરિવારનું નામ જ નથી. હવે મુશ્કેલી અહીથી શરૂ થાય છે, 2002માં જો તે પરિવાર મહારાષ્ટ્રમાં વસવાટ કરતો હતો, તો તે વિસ્તારના બુથ નંબર અને ભાગ ક્રમાંક ગણતરી ફોર્મમાં લખવા જરૂરી છે. જો આ માહિતી ગણતરી ફોર્મમાં દાખલ ન થાય તો તે ફોર્મ સબમિટ થઇ શકતો નથી. જેના પુત્રવધુનું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે. અત્રે મહત્ત્વનું છે કે, હાલમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં મતદારયાદી સુધારણા માટેની કામગીરી ચાલી રહી છે. એકતરફ બીએલઓ દ્વારા કામગીરીનો વિરોધ કરી તંત્રમાં રજૂઆતો કરવામાં આવે છે, તો બીજી તરફ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફોર્મ મળ્યા બાદ લોકો વિગતો ભરીને પરત આપી સરકારની આ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. વિવિધ જગ્યાએ નાના-મોટા પ્રશ્નો સામે આવે છે પરંતુ તેનો ઉકેલ લાવી દેવામાં આવે છે. અન્ય રાજ્યનું પણ મેપિંગ થઇ શકશેઆ સમગ્ર બાબતે જિલ્લા ચુંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું કે જો કોઈ પુત્રવધુનું પિયર 2002 પહેલા ગુજરાત બહાર સ્થાઈ હોય તો તે રાજ્ય અને વિસ્તારની વિગત બીએએલઓ મેળવવામાં મદદ કરશે. તે યાદી બીએએલઓ દ્વારા મેપિંગ કરી આપવામાં આવે છે. જો કે આ પ્રક્રિયા થોડી જટિલ છે, થોડો સમય લાગે છે. પણ સરની પ્રક્રિયા માટે પતિની વિગતની જગ્યાએ પુત્રવધુની પિયરની વિગત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:22 am

ભાસ્કર ઈનસાઈડ:માધાપરની પરિણીતાને સંબંધ રાખવા ફરજ પાડી આપઘાત માટે મજબૂર કરાઇ હતી

માધાપરમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ પાંચ મહિના પહેલા કરેલા આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરતા જુની બકાલી કોલોની પાસે રહેતા આરોપીએ સબંધ રાખવાનું કહી ફોટો વાયરલ કરવાની ધમકી આપી મરવા માટે મજબુર કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ આપઘાત કરી લેનાર માધાપરમાં રહેતી 21 વર્ષીય પરિણીતાના પિતાએ માધાપર પોલીસ મથકે જુની બકાલી કોલોનીમાં રહેતા આરોપી સમીર જુણસ પઢિયાર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. બનાવ 14 જુનના બન્યો હતો. ફરિયાદીની દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા માધાપર પોલીસ મથકે એડી દાખલ કરી તપાસ કરાઇ હતી. આરોપીએ તેમની દીકરી સાથે સબંધ રાખવા અવાર નવાર પીછો કર્યો હતો. તેમજ પોતાની સાથે સબંધ ન રાખે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી મરવા માટે મજબુર કરતા ફરિયાદીની દીકરીએ ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ. જે. ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બનાવ બાદ પોલીસે તપાસ કરતા મૃતકના મોબાઈલમાંથી પુરાવાઓ મળી આવ્યા હતા. હતભાગીએ અંતિમ પગલું ભર્યું તે પહેલા ફાંસો ખાવા માટે તૈયાર કરેલા ફંદાનો ફોટો પણ આરોપીને મોકલાવ્યો હતો જે બાદ બન્ને વચ્ચે કોઈ વાતચીત થઇ ન હતી. હાલ આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલમાં ‘સમીર’ને બદલે ‘જીવો’ નામ સેવ હતુંપરિણીત યુવતીએ આપઘાત કરી લીધો ત્યારે પરિવારે શંકા વ્યક્ત કરી હતી.જે દિશામાં પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.જયારે યુવતીનો ફોન તપાસવામાં આવ્યો ત્યારે આરોપીનું નામ સમીરને બદલે જીવો નામથી સેવ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે વધુ તપાસ માટે યુવતીના મોબાઈલને એફએસએલમાં મોકલવા સહીતની તજવીજ પણ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:18 am

ભાસ્કર ઇનસાઇડ:SOGના નકલી જવાનોનું કારસ્તાન,ભરૂચના વેપારી,મહિલા મિત્રનું કારમાં અપહરણ કરીને રૂા.5 લાખની ખંડણી વસૂલી

પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો.તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો.જેમાં નકલી એસઓજી બનેલા પોલીસ વિભાગના બે અસલી જવાનોની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ અંગે વેપારીના જણાવ્યા અનુસાર અપહરણ અને ખંડણીની કલમો લગાવી તપાસ શરૂ કરી છે. આરોપીઓ અપહરણ અને ખંડણીની માંજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે યાજ્ઞિક સાહેબની ઓળખ આપનાર શખ્સ, આફતાબ પઠાણ (તાંદલજા) અને ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ પહેરેલો શખ્સનો સમાવેશ થાય છે. ગત 12 તારીખે સવારે ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા. મહિલા મિત્રનું એડમિશનું કામ પૂર્ણ થતાં ત્રણ પરત ભરૂચ જવા દોઢ વાગે નીકળ્યા હતા. ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રુપ નાઇન પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રાખવી હતી.અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો.અને અંદર બેસી જઈ પોલીસ હોવાનું જણાવ્યું હતું.વેપારીએ 4 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફવાનને પરત વડોદરા લવાયો હતો.કાલાઘોડા પાસે ઉભો રાખ્યો હતો.એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. 4 લાખ મળી ગયા બાદ નકલી એસ.ઓ.જી બનેલા જવાનોએ અફવાનને છોડી દીધો હતો. બીજા દિવસે ફોન કરી એક રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહેતા વેપારી ખંડણીખોરોએ આપેલા સરનામે અકોટા પોલીસ લાઇન પાસે આવી એક લાખ આપી ફોન પરત મેળવ્યો હતો.ઘટનામાં નકલી પોલીસ બનેલા લોકો ઉપર શંકા જતા માંજલપુર પોલીસ મથકે પહોંચી અફવાને ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બદનામીના ડરે વેપારી પોલીસ મથક છોડી ભાગી ગયામકરપુરા રોડ ઉપરથી પોતાના અને મહિલા મિત્રનું જુદી જુદી કારમાં અપહરણ કરી 5 લાખની ખંડણી વસૂલી હોવાની ફરિયાદ લઈ ભરૂચનો અફવાન માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.જ્યાં એને અપહરણ અને ખંડણીની વિગતો જણાવી હતી.પોલીસે ફરિયાદ માટે નિવેદન લીધું હતુ.જેમાં વેપારીએ સહી કરી હતી.બાદમાં અપહરણકારોને મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાની જાણ થઈ હતી. જેથી એ ગભરાયા હતા અને વેપારી પાસેથી લીધેલી રકમ કરતા વધુ રકમ પરત કરવાની તૈયારી હોવાનો સંદેશો મોકલાવ્યો હતો.બીજી તરફ ફરિયાદમાં મહિલા મિત્રના ઉલ્લેખથી પોતાની બદનામી પણ થશે એવા ડરે વેપારી પોલીસ મથક છોડી ભાગી ગયો હતો પરંતુ પોલીસે નિવેદનના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અપહરણ અને ખંડણીની ફરિયાદ અંગે તપાસ ચાલુ છેઃ ડીસીપીડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, માંજલપુર પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે આવતી કાલે બુધવારે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવશે.હાલ તપાસ ચાલુ છે એમ તેમણે ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:16 am

કાર્યવાહી:તરસાલી હાઇવે પર ગેરેજ પાછળ ગાંજો ઉગાડનાર 3 શખ્સ ઝડપાયા

તરસાલી પાસે હાઈવે પર આવેલા ગેરેજની પાછળ ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનું વાવેતર કરનાર સગીર સહિત 3 શખ્સોને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા હતા. ગાંજાના છોડનું વાવેતર અને માવજત કરનાર શખ્સો અંગે કપુરાઇ પોલીસ મથકના પીઆઈ ડી.સી. રાઓલને બાતમી મળી હતી, જેના આધારે ટીમને દરોડો પાડવા સૂચના આપી હતી. પોલીસે તરસાલીથી જામ્બુઆ તરફ બ્રિજની બાજુમાં સાંવરિયા ઢાબા પાસેના ગેરેજમાં તપાસ કરતાં ગાંજાના 5 ફૂટ ઊંચા 4 છોડ મળ્યા હતા. પોલીસે ગેરેજમાં હાજર સગીર સહિત 3ની પૂછપરછ કરતા તેમણે આ છોડ વાવ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે વિજય દુઃખીરામ ગૌતમ અને કુલદીપ શેરસિંગ જટાન અને કિશોરને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગાંજાના છોડ કાપી તેનું વજન કરતા 13.7 કિલો થયું જેની કિંમત 6.87 લાખ મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંજાના બીજ ઉત્તર પ્રદેશથી લાવ્યા હતાગેરેજ પાછળ ખુલ્લી જગ્યામાં માદક પદાર્થ ગાંજાના છોડ વાવી ઉગાડનાર ઝડપાયેલા આરોપીઓ પૈકી 2 ઉત્તર પ્રદેશના છે અને ગાંજો પીવાનું વ્યસન ધરાવે છે. ગાંજો ન મળે તો વ્યાકૂળ થઈ જતા હતા અને કોઈ કામ કરી શકતા ન હતા. અંતે ઉત્તર પ્રદેશમાં કેટલાંક સ્થળો પર ગાંજાનું વાવેતર સરકારની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. ત્યાંથી ગેરકાયદે રીતે આરોપીઓ ગાંજાના બીજ લાવ્યા હતા અને તેનું વાવેતર કરી માવજતથી 5 ફૂટના છોડ બનાવ્યા હતા. જેનો ઉપયોગ પોતે સેવન કરવા માટે કરતા હતા. જ્યારે લાંબા અંતરે જતા કેટલાક ટ્રક ડ્રાઇવરોને પણ આપતા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:14 am

ભાસ્કર ઈનસાઈડ:મચ્છીપીઠમાં એમડી ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો, 58 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરાયું

યુવાધન ને બરબાદ કરતાં માદક પદાર્થ અને ડ્રગ વેચાણ માટે બદનામ મચ્છીપીઠ નાકા પાસે આવેલા બિલ્ડિંગના ત્રીજા માળે દરોડો પાડી એસ.ઓ.જી પોલીસે એમડી ડ્રગ સાથે કેરિયરને ઝડપી પાડ્યો છે. પોલીસે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ 58 ગ્રામ રૂ.1.76 લાખ તથા કેરિયરને ઝડપી પાડ્યો છે. એસઓજીએ 1.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરને નશા મુક્ત બનાવવા મિશન ક્લીન ની ઝુંબેશ ચાલી રહી છે.જેમાં નશાકારક પદાર્થ ના ખરીદ વેચાણ તથા હેરાફેરી સાથે સંકળાયેલા ઉપર નજર રાખવામાં આવી રહી છે. તે દરમ્યાન એસ.ઓ.જી પીઆઇ એસ.ડી.રાતડાને ડ્રગ વેચાણ અંગેની બાતમી મળી હતી.જેના આધારે ટીમને દરોડો પાડવાની સૂચના આપવામાં આવી હતી. ટીમે મચ્છીપીઠના નાકે વલકર ટ્રેડીંગ દુકાનની સામે બિલ્ડીંગમાં ત્રીજા માળે તપાસ કરી હતી. એ દરમ્યાન ત્યાં રહેતો રફીક ઇકબાલ મલેક હાજર હતો. તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા એમ ડી ડ્રગ્સ 58 ગ્રામ 700 મીલીગ્રામ રૂ.1.76 લાખ, રોકડા રૂપિયા 24 હજાર, મોબાઇલ ફોન રૂ 5 હજાર મળી રૂ.1.96 લાખનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી એમ.ડી ડ્રગનો જથ્થો ક્યાંથી લાવતો હતો.અને કોને વેચતો હતો.એની તપાસ હાથ ધરી છે. ભાઈ પોલીસના હાથે ઝડપાઈ જતાં પોતે એમડી વેચવાનું ચાલુ કર્યુંમચ્છીપીઠ વિસ્તારમાં એસ.ઓ.જીના હાથે એમ.ડી. ડ્રગ સાથે ઝડપાયેલા આરોપી રફીક ઈકબાલ મલેક 10 મહિનાથી ડ્રગ વેચતો હતો.એક વર્ષ પહેલા એનો ભાઈ ફૈઝાન ઈકબાલ મલેક અન્ય આરોપી સાથે મળી ડ્રગ વેચતો હતો. જે પોલીસના હાથે 52 ગ્રામ એમ.ડી કિંમત 5.29 લાખ સાથે ઝડપાયો હતો.આ ડ્રગ તે મુંબઈથી લાવી વેચતો હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું હતું.ભાઈ ઝડપાઈને જેલમાં જતા ડ્રગ વેચવાનો ધંધો ભાઈ રફિકે સાંભળી લીધો હતો.અને બહાર થી ડ્રગ લાવી પોતાના મકાનમાં રાખી વેચતો હતો. જોકે આ સમગ્ર મામલે છેલ્લા કેટલાક સમયથી આરોપી નશિલા પદાર્થનું વેંચાણ કરીને યુવાધનને બરબાદ કરવાનું કામ કરી રહ્યો હતો. ત્યારે એસઓજીએ કેરીયરને મુદ્દમાલ સાથે ઝડપી પાડયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:14 am

ભલામણ:રાયકા-દોડકા ફ્રેન્ચવેલ, ફૂટબોલ ગ્રાઉન્ડ પ્રોજેક્ટને બજેટમાં સમાવવા ભલામણ

રાજ્ય સરકારના આગામી વર્ષના બજેટ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે વડોદરાના વિકાસના કામોની યાદી માટે સાંસદ અને ધારાસભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્યોએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ, રાયકા દોડકા ફ્રેન્ચવેલ, અકોટા ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પૂલ સહિતના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવે તેવી ભલામણ કરી હતી. જોકે વડોદરામાં સંકલન કરી કામોની યાદી મોકલવા માટે મુખ્યમંત્રી અને સૂચના આપી છે. વડોદરા થી મુખ્યમંત્રી કાર્યાલય ગયેલા ધારાસભ્ય યોગેશ પટેલે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ મૂકી હતી. યોગેશ પટેલે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીને ઊંડી અને પહોળી કરવા અને અન્ય કાસોની સફાઈ માટે 100 કરોડનો ખર્ચ થયો છે. તેની સામે માત્ર 40 કરોડ આવ્યા છે. તો આગામી બજેટમાં વધુ નાણાં ફાળવવામાં આવે તેમ કહ્યું હતું. મંત્રી મનિષાબેન વકીલે હરણી વિસ્તારમાં સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવે તેવી રજૂઆત મૂકી છે. સાથે જ આગામી 5 વર્ષમાં શહેરમાં પાણીના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવા જરૂરિયાત મુજબના પ્રોજેક્ટ નો સમાવેશ કરવા કહ્યું છે. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ અકોટામાં ફૂટબોલ સ્ટેડિયમ, બેડમિન્ટન કોર્ટ, સ્કેટિંગ રિંગ સહિત અન્ય સુવિધાઓ અને મલ્ટી સ્ટોરી પાર્કિંગ માટેની માંગ કરી છે. બીજી તરફ બુધવારે મેયર, સ્થાયી ચેરમેન અને મ્યુનિ. કમિશનર ગાંધીનગર જશે તેવી માહિતી મળી છે. જોકે વડોદરામાં સંકલન કરી કામોની યાદી મોકલવા માટે મુખ્યમંત્રી અને સૂચના આપી છે. જોકે રાજ્ય સરકારના આગામી વર્ષના બજેટ બનાવવાની તૈયારી ચાલી રહી છે. શહેરના વિકાસના કામોની યાદી માટે સાંસદ અને ધારાસભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા.અને રજુઆતો કરી હતી. પાનમ યોજનાના 5 હજાર કરોડ માફ કરવા રજૂઆત, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે આ મુદ્દો ઉઠાવ્યો હતોપાલિકા દ્વારા પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદીમાંથી પાણી લેવામાં આવે છે. જેનું ₹5,000 કરોડનું બિલ બાકી છે. ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આધારભૂત સૂત્ર મુજબ બાલકૃષ્ણ શુક્લે રૂ. 5000 કરોડનું બિલ માફ કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ ભૂતકાળમાં ગૃહમાં જ્યારે પાનમ યોજનાના 3300 કરોડનું બિલ બાકી હતું ત્યારે પાણી પુરવઠા મંત્રી નરોત્તમ પટેલે તમામ બિલ માફ કરીશું તેવી ખાતરી આપી હતી. જો તે હજી સુધી કરાયું નથી તેમ કહી બાળકૃષ્ણ શુકલની વાતમાં સુર પુરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:13 am

કાર્યવાહી:મકરપુરામાં મેલડી માતાના મંદિરના ઓટલે બેસી ગાંજો વેચતો યુવક ઝબ્બે

મકરપુરા વિશ્વામિત્રી નદી પાસે મેલડી માતાના મંદિરના ઓટલે બેસી ગાંજો વેચતો યુવક પકડાયો હતો, જ્યારે માંજલપુર પોલીસે વિશ્વામિત્રી ટાઉન્શીપ નજીકથી વૃદ્ધને ગાંજા સાથે પકડી પાડ્યો હતો. બંને પાસેથી પોલીસે 747 ગ્રામનો ગાંજો પકડી પાડ્યો હતો. મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, વિશ્વામિત્રી નદી પાસે પ્રિતુલ પાટણવાડીયા(રહે, જયરામનગર, મકરપુરા, મૂળ શિનોર) ગાંજાનું વેચાણ કરવા આવે છે. તે મેલડી માતાજીના મંદિરના ઓટલા ઉપર બેસીને ગાંજો વેચી રહ્યો છે. જેના આધારે પોલીસે પ્રિતુલને 63 ગ્રામના રૂ.3200 ગાંજા સાથે પકડ્યો હતો. ત્યારે પોલીસે કુલ રૂ.10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી બાજુ માંજલપુર પોલીસને પારસી ભિસ્તા વિશ્વામિત્રી ટાઉનશીપ ખાતે એક ઈસમ ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમી મળતાં દરોડા પાડ્યો હતો. પોલીસે હરીભાઈ કહાર(રહે,પારસી ભિસ્તા વિશ્વામિત્રી ટાઉનશીપ)ને પકડી પાડ્યો હતો. હરીભાઈ પાસેથી 684 ગ્રામ રૂ.34 હજારના ગાંજો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ગાંજા સહિત ફોન, વજન કાંટો વગેરે મળી કુલ રૂ.41 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને જણા સામે મકરપુરા અને માંજલપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:12 am

હત્યા:પત્નીનું ગળું દબાવીને હત્યા કરવા મામલે પતિ 3 દિવસના રિમાન્ડ પર

તાંદલજા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે થયેલા ઝઘડામાં આવેશમાં આવીને પતિએ પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પતિ જે.પી.રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘટનાની કબુલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી ત્રણ દિવસ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હત્યારા કાસિમ શબ્બીરભાઈ શેખે પોલીસને જણાવ્યું હતું કે, નાની બાળકી બાબતે વિવાદ થયો હતો. આવેશમાં આવી ગળું દબાવી દીધું હતું. મિસ્બા ઉર્ફે આરજુ કાસિમ શેખ ભાડેથી મહાબલીપુરમ ગેટ નંબર-02 તાંદલજા ખાતે રહેતા હતા. કાસીમ પત્ની ઉપર શક કરી રૂપિયા પણ માગતો હતો. પોલીસ દ્વારા કાસીમ શેખને કોર્ટમાં રજૂ કરી તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? ઘટાનું રિકંસ્ટ્રક્શન કરવા, હત્યા પાછળ મુળ કારણ શું હતું? સહિતના મુદ્દા ઉલ્લેખી રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે કાસીમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:11 am

અકસ્માત:દેણા બ્રિજ પર ઊભેલી ટ્રકમાં ST બસ ભટકાઈ, 6 વિદ્યાર્થી સહિત 19 ઘાયલ

વાપીથી નીકળેલી અને મહેસાણાના ચાણસ્મા જવા માટે નીકળેલી જીએસઆરટીસીની બસને દેણા બ્રીજ પર અકસ્માત નડ્યો હતો. બ્રિજ પર વગર કોઈ સિગ્નલે એક ટ્રક ઊભી હતી, જેના કારણે બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે બસમાં સવાર 37 મુસાફરો માંથી 19 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ બસ સવારને ટૂંકી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. શહેર નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મંગળવારે સવારે અકસ્માત સર્જોયો હતો. જીએસઆરટીસીની બસ સોમવારે મોડી રાત્રે વાપીથી ચાણસ્મા જવા માટે નીકળી હતી. ત્યારે બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા. બસ જ્યારે હરણી નજીક દેણા બ્રિજ પર ચડી રહી હતી ત્યારે તે બ્રિજ પર ઊભેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત થતાં બસના આગળના ભાગના મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું અને બસમાં સવાર 19 મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચતા તમામને 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામને ટૂંકી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બસમાં સવાર 6 વિદ્યાર્થીઓ વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓ જીટીયુની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્તનાં નામ અકસ્માતને કારણે અમે ચિંતામાં મુકાઈ ગયાવિદ્યાર્થીની હિતિક્ષા પટેલે જણાવ્યું હતું કે, અમે વાપીથી મહેસાણા જિલ્લાના વડસ્મા ખાતે આવેલી SRI કોલેજ, BEની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. અમે વહેલી સવારે બસમાં ઊંઘી રહ્યા હતા એ સમયે બસ ટ્રકની પાછળ અથડાઈ હતી.આવતીકાલે અમારી પરીક્ષા છે. ડ્રાઈવરનું ઓપરેશન કરવાની જરૂર પડીઅકસ્માત થતાં ડ્રાઈવર જશુજી ઠાકોરને બસનું સ્ટેરીંગ પેટના ભાગમાં વાગ્યું હતું, જેના કારણે તેઓને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેઓને ઓપરેશન માટે ખસેડવામા આવ્યા હતા. હાલમાં તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત ન થાય તે માટે ડ્રાઈવરે પૂરેપૂરો પ્રયાસ કર્યોઅમે જ્યારે દેણા બ્રિજ ચડ્યા ત્યારે જમણી બાજૂ વગર આડશે એક ટ્રક ઊભો હતો.કોઈ લાઈટ કે સિગ્નલ નહોતી. જેના કારણે ડ્રાઈવરને દુરથી દેખાયું નહીં. જ્યારે બસ નજીક ગઈ ત્યારે જાણ થઈ, બીજી તરફ બસ લઈ જવાય તેવી કોઈ પરિસ્થિતી નહોતી, કારણ કે બીજી બાજૂ પણ એક ભારદારી વાહન હતું. જેથી ડ્રાઈવરે જોરથી બ્રેક મારી હતી તેમ છતાં બસ અથડાઈ ગઈ. > પ્રવિણ કુંભાર, કંડક્ટર

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:10 am

વડાપ્રધાન મોદી આજે PM કિસાનનો 21મો હપ્તો રિલીઝ કરશે:ગુજરાતના 49.31 લાખ ખેડૂતોને ₹986 કરોડથી વધુની સહાય મળશે, ખેડૂતોને સહાય-મંજૂરીપત્રોનું વિતરણ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના કોઇમ્બતુર શહેરમાંથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરશે. ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતો સહિત દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. આ અનુસંધાને ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતા કરશે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહેશે. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને ₹986 કરોડની સહાયકૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પીએમ-કિસાનના 21મા હપ્તા હેઠળ ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹986 કરોડથી વધુની સહાય સીધી DBT દ્વારા જમા થશે. ગાંધીનગરના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓ સહિત કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના ખેડૂતોને સહાય-મંજૂરીપત્રોનું વિતરણ થશે. વડાપ્રધાન મોદી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન પણ કરશે. રાજ્યભરના કૃષિ સંસ્થાઓમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણરાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ICAR સંસ્થાઓ, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આયોજન સાથે ખેડૂતોની મોટી ઉપસ્થિતિ રહેશે. અત્યાર સુધી દેશના ખેડૂતોને ₹3.91 લાખ કરોડથી વધુની સહાયપીએમ-કિસાન યોજનાના શરૂથી અત્યાર સુધી દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તામાં કુલ ₹3,91,000 કરોડથી વધુની સહાય વિતરણ થઈ ચૂકી છે. ગુજરાતના ખેડૂતોને પણ અત્યાર સુધી 20 હપ્તા મારફતે ₹21,086 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં જમા થઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:00 am

ધીરજને વોટર ફોબિયા હતો તો કેમ કેનાલમાં કૂદી આપઘાત કર્યો?:રણુજા ગયો હોત તો દીકરીઓ સાથે જીવતો હોત, કલોલના 3 પેટ્રોલપંપનો માલિક 6 માસથી ડિપ્રેશનની દવા લેતો

ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહી ઘરેથી કારમાં નીકળેલા ધીરજે પોતાના ઘર કલોલની બલરામ પાર્ક સોસાયટીથી અંદાજિત 5.9 કિલોમીટર દૂર પિયજ ગામની નર્મદા કેનાલ પહોંચી પોતાની બે દીકરીઓ સાથે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાએ પાષાણ હૃદયના માનવીને પણ હચમચાવી મૂક્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે ધીરજના આપઘાત પાછળનું કારણ જાણવા તેના કાકા મનોજભાઈ દેસાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરતા ધીરજનું જીવન અને ખાસ કરીને તેની શારીરિક તકલીફો વિશે ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ધીરજ વોટર ફોબિયાથી પીડિત હતો તે સ્વિમિંગ પુલમાં પડતા પણ ગભરાતો હતો. સાથે જ છેલ્લા 6 મહિનાથી તેની ડિપ્રેશનની દવા પણ ચાલતી હતી. આ બધામાં સૌથી ચોંકાવનારી વાત એ સામી આવી છે કે ધીરજ જો રણુંજા સંઘમાં ગયો હોત તો આજે તે તેની બંને દીકરીઓ સાથે જીવતો હોત. તો આવો જાણીએ મૃતક ધીરજે પોતાની બંને દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી તેના એક સપ્તાહ પહેલાથી આપઘાત કર્યો ત્યાં સુધીના ઘટનાક્રમ અને તેની બીમારી વિશે... મૃતક ધીરજ મેકાટ્રોનિક એન્જિનિયર હતોઆ અંગે મૃતક ધીરજ રબારીના કાકા મનોજ દેસાઈએ કે જેઓ UPSCની તૈયારીની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ ચલાવે છે. તેમણે અત્યંત ભગ્ન હૃદયે જણાવ્યું કે, આ ઘટના મારા અને અમારા પરિવાર માટે એક વજ્રઘાત સમાન છે. ધીરજ મેકાટ્રોનિક એન્જિનિયર હતો. જેના લગ્ન સમાજના રિવાજ મુજબ મહેસાણાના ધારૂસણ ગામે થયા હતા. આ લગ્ન જીવનથી ધીરજ બે દીકરીઓનો પિતા હતો. એક દીકરી ચાર વર્ષની અને બીજી દીકરી માત્ર નવ મહિનાની હતી. સામાજિક રીતે પત્ની અને બાળકો પિયર રહી વાર તહેવારે સાસરી આવતા જતા હતા. ધીરજને વોટર ફોબિયા હતોધીરજને વોટર ફોબિયા હતો, જે પાણીથી ખૂબ જ ગભરાતો હતો. મિત્રો સાથે સ્વિમિંગ પુલ જાય તોય ધીરજ પુલની પાળીએ બેસીને માત્ર પગ પલાળી દૂર ખસી જતો હતો. એક વખત બધા મિત્રો ફરવા ગયા હતા. જ્યાં દરિયામાં હાથ ખેંચીને મિત્રો ન્હાવા લઇ ગયા હતા. જે ઘટનાથી ગભરાઈને ધીરજ તુરંત બહાર નીકળી ગયો હતો. છેલ્લા 6 મહિનાથી માનસિક તણાવ જેવી બીમારી હતીઆ સ્થિતિ વચ્ચે છેલ્લા છ મહિનાથી ધીરજને માનસિક તણાવ જેવી બીમારી હતી. જેના શરીરમાં ધ્રુજારી આવતી હતી.જેના માટે કલોલની ત્રણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પણ કરાવી હતી. પરંતુ કોઈ ખાસ ફેર પડ્યો ન હતો. જેના પગલે તેની સિમ્સ હોસ્પિટલમાં સારવાર શરુ કરાવી હતી. જ્યાં જરૂરી રિપોર્ટ કરાવ્યા હતાં. પરંતુ ધીરજની બિમારીના મૂળ સુધી પહોંચી શકાયું ન હતું. 6 મહિનામાં ધીરજ ત્રણવાર કોઈ કારણસર બેભાન થયોછેલ્લા છ મહિના દરમિયાન ધીરજ ત્રણેક વખત કોઈ કારણસર બેભાન થઈ ગયો હતો. છેલ્લે તો હોસ્પિટલ ગયા પછી ધીરજે સામેથી પોતાને એડમિટ કરી દેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જોકે ડોક્ટરોએ માનસિક રોગ નિષ્ણાત તબીબનો અભિપ્રાય લેવાની સલાહ આપી કેટલીક દવાઓ લખી આપી હતી. કેમ કે ડોકટરો પણ તેની શારીરિક કે માનસિક બીમારીના મૂળ સુધી પહોંચી શક્યા ન હતા. આ બીમારીના કારણે ધીરજ એકલા રહેવાનું પસંદ કરતો નહીં. ગામના મહાદેવ મંદિરમાં દર્શન કરી દિવસની શરૂઆત કરોધીરજના નિત્યક્રમની વાત કરીએ તો ધીરજ સવારે સાડા સાતેક વાગ્યે તૈયાર થઈને ગામના મહાદેવ મંદિર જતો હતો. જ્યાંથી પરત આવી પોતાના ભાઈના બાળકો સાથે રમતો અને જમીને પછી કપિલેશ્વર મહાદેવ દર્શન કરીને પેટ્રોલ પંપે જતો હતો. જ્યાં રોજિંદા હિસાબ, પંપની ઓનલાઈન કામગીરી અને બેંકના કામકાજ પૂર્ણ કરી પોતાના કોઈને કોઈ મિત્રોને બેસવા માટે બોલાવી લેતો હતો. પરિવાર-મિત્રો સતત આસપાસ રહેતાસાંજે ઘરે ગયા પછી પરિવાર સાથે સમય વિતાવી પાછો પોતાના મિત્રો સાથે બેસવા જતો હતો. તેને એકલતા પસંદ નહીં હોવાથી પરિવાર અને મિત્રો પણ સતત એની આસપાસ રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તો ધીરજને પરિવાર-મિત્રોએ સહેજ પણ એકલતા નથી અનુભવવા દીધી. પરિવાર અને નજીકના ગામના અંગત ત્રણ મિત્રો ધીરજને સહેજ પણ એકલો પડવા દેતા નહીં. બનાવના અઠવાડિયા પહેલાં ધીરજે રણુજા જવા બેગ પેક કરી રાખી હતીજે દિવસે 7 નવેમ્બરે ધીરજ બંને દીકરીઓ સાથે ગુમ થયો એના એક સપ્તાહ પહેલા ગામના લોકો તેમજ તેનાં ત્રણ અંગત મિત્રો (જે સતત તેની પડખે રહેતા) સંઘ લઈને રણુજા ગયા હતા. ધીરજને પણ રણુજા જવાનું હતું. પરંતુ પેટ્રોલ પંપના કામકાજના લીધે તે જઈ શકયો ન હતો. જોકે રણુજામાં પૂજા પાઠના છેલ્લે દિવસે એટલે કે, 8 નવેમ્બરને શનિવારે ધીરજે રણુજા જવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેને પોતાની બેગ પણ પેક કરીને રાખી દીધી હતી. ધીરજ એકલો પડી ગયો હોવાથી પત્ની-બાળકીઓને તેડી આવ્યો હતોબીજી તરફ ગામના નજીકના લોકો અને અંગત મિત્રો વિના ધીરજ એકલો પડી ગયો હતો. જેના લીધે ધીરજ ચારેક દિવસ પહેલા જ પત્ની અને બંને દીકરીઓને તેડી લાવ્યો હતો. દિવાળી દરમિયાન બંને દીકરીઓના કપડા લીધા નહીં હોવાથી તેણે પોતાની વ્હાલી દીકરીઓ માટે કપડા વિગેરેની ખરીદી પણ કરી હતી. રણુજા જવાનું હોવાથી દીકરીના આધાર કાર્ડ કઢાવવા શુક્રવારે ગાડી લઈ નીકળ્યો જોકે ધીરજના મનમાં કેવી વમણ ચાલી રહી હતી તે પરિવારના કોઈ સભ્યોને ખબર પડી ન હતી. શનિવારે રણુજા જવાનું હોવાથી તે દીકરીના આધાર કાર્ડ કઢાવવા માટે શુક્રવારે ગાડી લઈને ઘરેથી નીકળ્યો હતો. જેની થોડીવાર પછી ધીરજના કાકા મનોજ દેસાઈએ ફોન કરીને વાતચીત કરી હતી. એ સમયે પણ ધીરજ એકદમ નોર્મલ અવસ્થામાં વાતચીત કરતો હતો. ફોન મૂક્યાંની ગણતરીની મિનિટોમાં ધીરજે રણુજા ગયેલા મિત્રને લોકેશન-પાસવર્ડ મોકલ્યોઆ ફોન મૂક્યાંની ગણતરીની મિનિટોમાં ધીરજે રણુજા ગયેલા તેના મિત્ર સમાન પિતરાઈ ભાઈને મેસેજ કરીને પોતાનું લોકેશન અને મોબાઈલ પાસવર્ડ મોકલી આપ્યો હતો. આ જોઈને પિતરાઈને ફાળ પડી હતી. જેણે તુરંત મનોજભાઈને જાણ કરી હતી. બાદમાં પરિવારના લોકો લોકેશનના આધારે શેરીસા કેનાલ પહોંચ્યા હતાં. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયુ હતું. સ્થળ ઉપર ગાડી અને મોબાઇલ જ મળી આવ્યા હતાં. જ્યારે ધીરજ અને બંને દીકરીઓ કોઈ જોવા મળ્યા ન હતાં. કેનાલમાં ત્રણેયનો પત્તો ના લાગતા પોલીસ મથકમાં ફરિયાદ કરીકોઈ અજુગતું ઘટ્યું હોવાની શંકા રાખી પરિવારે સ્થાનિક તરવૈયાઓની ટીમને બોલાવી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. મોડી સાંજ સુધી કેનાલમાં શોધખોળ કર્યા પછી પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. સુરજ આથમી રહ્યો હોવાથી તરવૈયાઓએ પણ કેનાલમાં શોધખોળ અટકાવી દીધી હતી. જોકે કેનાલમાંથી કોઈ પગેરુ નહીં મળતા પરિવારે સાંતેજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. બંને દીકરીના મૃતદેહ શેરીસાથી ખેંચાઈને પિયજ કેનાલમાંથી મળ્યાઆ ઘટનાની ગંભીરતા જાણીને PI એસ.આર.મૂછાળે પોતાની ત્રણ ટીમો સાથે તપાસનો દોર શરૂ કરી ત્રણેય ગુમ પિતા પુત્રીઓની વિગતો સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી. એટલે કલોલ તાલુકા પોલીસ પણ ત્રણેયને શોધવામાં લાગી ગઈ હતી. આમને આમ શુક્રવારની આખી રાત વીતી ગઈ હતી. એવામાં વહેલી સવારે બંને દીકરીઓના મૃતદેહ શેરીસાથી ખેંચાઇને પિયજ કેનાલમાંથી મળી આવ્યા હતા. NDRFની ટીમને બોલાવવાની તૈયારી કરી ત્યાં જ ધીરજનો મૃતદેહ મળ્યોત્યારબાદ પોલીસે શેરીસાથી પિયજ નર્મદા કેનાલ સુધી ધીરજની તરવૈયાઓ થકી શોધખોળ શરૂ કરાવી હતી. બપોર પડવા આવી પણ ધીરજનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. એટલે પરિવાર અને પોલીસની પણ ધીરજ ખૂટી રહી હતી . જેના પગલે પોલીસે NDRFની ટીમને બોલાવવા તજવીજ હાથ ધરી હતી . જોકે એ પહેલા જ ધીરજનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. જે દિવસે રણુજા જવાનો હતો તે જ દિવસે ધીરજનો મૃતદેહ મળ્યોવધુમાં મનોજભાઈએ ઉમેર્યું કે, ધીરજ શનિવારે રણુજા જવાનો હતો. પણ શનિવારે કેનાલમાંથી તેનો મૃતદેહ મળ્યો. રણુજા જઈને આવ્યા પછી મનોચિકિત્સકને બતાવી તેની બીમારીનું ચોક્કસ નિદાન કરાવવાનું નક્કી કર્યું હતું. પણ એ પહેલા જ તેણે આવું પગલું ભરી લીધું જે અસહ્ય છે. તે કાશ્મીર ફરવા જવાનું પણ પ્લાન કરી રહ્યો હતો. અમને જો વહેલા અંદાજો આવી ગયો હોત તો ધીરજને એકલો પડવા જ ના દેતા. 6 મહિનાથી ધીરજની સિમ્સમાં ડિપ્રેશનની દવા ચાલતી હતી: PIઆ અંગે સાંતેજ PI મૂછાળે કહ્યુ કે, ધીરજ સુખી સંપન્ન હોવાથી કોઈ આર્થિક સંકડામણ ન હતી. પત્ની અને બાળકો સાથે પણ તેનું જીવન સુખમય વિતી રહ્યું હતું. છેલ્લા છ મહિનાથી ધીરજની સિમ્સમાં ડિપ્રેશનની દવા ચાલતી હતી. પણ બીમારીના નામનું ચોક્કસ નિદાન સામે આવ્યું નથી. તેને મનોચિકિત્સકને બતાવવાનું હતું. એ પહેલા જ તેણે આવું પગલું ભરી લીધું છે. પરિવારના સભ્યોની પૂછપરછમાં ધીરજને વોટર ફોબિયા હોવાનું પણ જાણવા મળ્યું છે. દીકરીઓ માટે પણ તેને અનહદ પ્રેમ હતો. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આપઘાતનું ચોક્કસ કારણ ધીરજ સાથે કેનાલમાં ગરકાવપ્રાથમિક રીતે ધીરજે માનસિક બીમારીના લીઘે બંને બાળકો સાથે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. ત્યારે હાલમાં ધીરજ કઈ બીમારી અને વ્યથાથી પીડાતો હતો એ એક મોટો કોયડો બની ગયો છે. ઉલ્લેખનીય છેકે ધીરજને વોટર ફોબિયા હતો છતાં તે કેનાલ સુધી બાળકોને લઈને પહોંચ્યો હતો અને કેનાલમાં જળસમાધિ લઈ જીવન ટૂંકાવી લીધું છે. આમ આપઘાતનું ચોક્કસ કારણ તો ધીરજ સાથે કેનાલમાં જ ગરકાવ થઈ જતા આ ઘટના વણ ઉકેલ્યો કોયડો બની ગઈ છે. આવા દર્દીઓ પ્લાન્ડ સુસાઇડ કરવાનું વિચારતા હોય છે: ડો. રાજેન્દ્ર આનંદવોટર ફોબિયાથી પીડિત ધીરજ રબારીએ બે માસુમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં આપઘાત કરી લેતા દિવ્ય ભાસ્કર દ્વારા તેની બીમારીના લક્ષણો અંગે કનોરિયા હોસ્પિટલના જાણીતા માનસિક રોગ નિષ્ણાંત ડો. રાજેન્દ્ર આનંદ સાથે વિગતવાર વાતચીત કરી હતી. ડો. આનંદે કહ્યું હતું કે, દર્દીની સારવારની ફાઇલો જોઈએ તો ચોક્કસ તારણ જાણી શકાય. પરંતુ એક એપિલેસ્પી બીમારી છે. જેમાં દર્દી બિમારીથી બહુ કંટાળી ગયા હોય છે. આવા દર્દીઓની સારવાર ચાલતી હોવા છતાં તેઓને લાગ્યા કરતું હોય કે બિમારીનો કોઈ ઇલાજ નથી. જેના લીધે તેઓ ડિપ્રેશન અનુભવતા હોય છે. એના લીધે ઘણીવાર શરીર ધ્રુજારી એક પ્રકારની ખેંચ આવે અને કેટલીક વાર બેભાન પણ થઈ જતા હોય છે. આવી તકલીફોને પેશન્ટ જલ્દી સ્વીકારી શકતા નથી. બીજા 'સ્કીઝોફેનિયા' બીમારીના દર્દીઓ હોય છે. આવા દર્દીઓ પ્લાન્ડ સુસાઇડ કરવાનું વિચારતા હોય છે. આ બીમારીના દર્દીઓ જેતે પ્રકારનો 'ફોબિયા' અનુભવતા હોય એનો જ સામનો કરવાનો પ્લાન્ડ કરે. ઘણીવાર આવું પગલું ભરતી વેળા (ફોબિયાનો સામનો કરવા) પોતાની એકદમ નજીકના વ્યક્તિને પણ સાથે લઇ જતા હોય છે. આવી બીમારી 100 માંથી એક દર્દીમાં જોવા મળતી હોય છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:00 am

લગ્ન, બેંગકોક, ગાંજો, જેલ અને રાજનીતિના મેદાનમાં મોડલ હની પટેલ:બે મહિના સાબરમતી જેલની હવા ખાધી, પતિથી છૂટી પડી FIR કરી; હવે વિવાદોનો વંટોળ ફુંકાયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલે પાંચ દિવસ પહેલા સુરતમાં આપનો ખેસ ધારણ કરતા જ સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો છે. આપમાં એન્ટ્રી કરતા જ સોશિયલ મીડિયા પર હની પટેલના બિયરના ગ્લાસ ભરતા અને સિગારેટના કશ મારતા વીડિયો વાઈરલ થવા લાગ્યા છે. થોડા મહિના પહેલા હાઈબ્રીડ ગાંજાના કેસમાં હની પટેલની ધરપકડ થતા બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જે મુદ્દો પણ હાલ ઉછળ્યો છે. આ તમામ વિવાદની વચ્ચે હની પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં ધડાકો કરતા તેના પતિ તુષાર ગજેરા અને તેના મિત્ર બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ બંનેએ મળીને તેણીને ગાંજાના કેસમાં ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે. એપ્રિલ 2025માં લગ્ન, બેંગ્કોક ટુર, ગાંજા મળવો, જેલવાસ અને હવે આપમાં એન્ટ્રી. છેલ્લા આઠ મહિના દરમિયાન શું થયું તેની સિલસિલાબંધ વિગતો જણાવી હતી. પોતાનો જે ભૂતકાળ છે તેની જાણ કરીને જ તેને આમ આદમી પાર્ટી જોઈન કરી હોવાનો દાવો કર્યો છે. તુષાર સાથે સંપર્કમાં આવ્યા બાદ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતામૂળ ભાવનગર અને સુરત જિલ્લામાં રહેતી 26 વર્ષીય હની મહેન્દ્રભાઈ ધડુક ઉર્ફે હની પટેલ વર્ષોથી સુરતમાં પરિવાર સાથે રહે છે. 2017થી હની પટેલ મોડેલિંગ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરી રહી છે. હની પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2025ના જાન્યુઆરી મહિનામાં મારા અને તુષાર ગજેરાના પરિવાર સંપર્કમાં આવ્યા હતા અને બંનેના લગ્ન પણ નક્કી થયા હતા. તુષારના સંપર્કમાં આવ્યા બાદ તેના મિત્ર એવા ભાજપ નેતા પ્રદીપ ભાખરના સંપર્કમાં પણ આવી હતી. ભાજપ નેતા પ્રદીપ ભાખર બગસરા તાલુકા ભાજપ પ્રમુખ છે. પહેલાથી તેની નજર ખરાબ હોવા અંગે મેં તુષારને જણાવ્યું હતું. દરમિયાન ચાર એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા કારણ કે અમે બંને દુબઈ શિફ્ટ થવાના હતા. જેથી બંનેના પરિવારજનોની હાજરીમાં કોર્ટ મેરેજ કરવામાં આવ્યા હતા. કોર્ટ મેરેજ કર્યાના બીજા જ દિવસે મારી તબિયત ખરાબ થઈ હતી. હની પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટાઈફોઈડ થઈ ગયો હોવાથી 6થી 7 દિવસ હોસ્પિટલમાં રહી હતી. રજા થતા તુષાર તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તુષારની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે તુષારની માતા વીડિયોકોલ પર વાત કરી રહ્યા હતા. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન તુષારે હાથ પણ ઉપાડ્યો હતો. જેથી હું પિયર પરત આવી ગઈ હતી. જેના ત્રણ-ચાર દિવસ પછી તુષારે સમાધાન માટે ફોન કરીને કહ્યું હતું. તેથી મેં કહ્યું હતું કે તારા મમ્મી પપ્પા મને સ્વેચ્છાએ લેવા આવતા હોય તો હું આવવા તૈયાર છું. લગ્નના 22 દિવસ બાદ પતિ-પત્ની બેંગકોક ફરવા ગયાહનીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં માથાકૂટ થયા બાદ પતિ તુષારે એવું કહ્યું હતું કે, હાલ ઘરનો માહોલ થોડો ખરાબ છે જેથી આપણે થોડા દિવસ બેંગકોક ફરીને આવીએ અને એટલા દિવસોમાં ઘરનો માહોલ પણ શાંત થઈ જશે. જોકે મને તુષાર પર હવે ભરોસો રહ્યો ન હોવાથી બંનેના પરિવારજનો સાથે ફરવા જઇએ તેવું કહ્યું હતું. તુષાર બંનેના પરિવારજન સાથે બેંગકોક જવા માટે તૈયાર થઈ ગયો હતો. જ્યારે જવાનો ટાઈમ થઈ ગયો ત્યારે તેના પરિવાર નહીં આવે તેવું બહાનું બતાવી દીધું હતું. તેથી મારા ફેમિલી સાથે તુષાર બેંગકોક આવ્યો હતો.બધા સાથે બેંગકોક ગયા હતા અને દસ દિવસ રોકાણ કર્યું હતું. અમે ત્યાં પહોંચ્યાના બે દિવસ બાદ ભાજપ નેતા પ્રદીપ ભાખર પણ બેંગકોક આવ્યા હતા. બેંગકોકથી પરત ફર્યા ત્યારે હની પટેલની બેગમાંથી 19 કિલો ગાંજો ઝડપાયો હતોહાઈબ્રીડ ગાંજાના કેસ મામલે હની પટેલે જણાવ્યું હતું કે,બેંગકોકથી પરત ફરતા સમયે એવું બન્યું હતું કે, મારા પતિ તુષાર અને તેના મિત્ર પ્રદીપ ભાખરે મારા નામે ગાંજો ભરેલી એક બેગ બોર્ડિંગ કરી દીધી હતી. એ બેગમાં ગાંજો છે કે નહીં તે અંગેની મને કોઈ પણ પ્રકારની જાણ ન હતી. અમદાવાદ એરપોર્ટ પર પકડાયા ત્યારે બેગમાંથી 19 કિલો હાઇબ્રીડ ગાંજો પકડાયો હતો. ગાંજો પકડાતા હની પટેલે બે મહિના જેલમાં રહેવું પડ્યુંહની પટેલે જણાવ્યું કે, જ્યારે ગાંજો પકડાયો ત્યારે એરપોર્ટ પર મારી કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું નથી. 24 કલાક એરપોર્ટ પર બેસાડ્યા બાદ બીજા દિવસે ડાયરેક્ટ કોર્ટમાં હાજર કરી અને ત્યારબાદ સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ બધી જ ઘટના બન્યા બાદ હું જેલમાં બે મહિના અને ત્રણ દિવસ કાપીને બહાર આવી હતી. બહાર આવ્યા બાદ મને ફસાવનારાઓ અંગે તપાસ કરતા ચોકાવનારી હકીકત બહાર આવી હતી. આ તમામ ઘટનાની અંદર મને ફસાવવામાં મારા પતિ તેનો મિત્ર એવો ભાજપ નેતા પ્રદીપ ભાખર અને અન્ય નેતાઓના પણ હાથ હોવાનું મને જાણવા મળ્યું હતું. આ બાબતે મેં ફરિયાદ પણ કરવાનો પ્રયાસ કર્યો તો પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી. હાઇબ્રીડ ગાંજાનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. મને આશા છે કે ન્યાયતંત્ર મને ન્યાય અપાવશે. મારી સાથે જે થયું તે મારા પતિએ માથે ઉભા રહીને કરાવ્યું- હની પટેલઆ તમામ કેસમાં ફસાવવાનું શરૂઆત હું જ્યારે તુષાર ગજેરાના ફેમિલી રિલેશનના કારણે સંપર્કમાં આવી ત્યારબાદથી જ થઈ ગઈ હતી. પણ મને મારા પતિ પર ભરોસો હતો કે કોઈપણ પતિ પોતાની પત્ની સાથે ખોટું નહીં કરે. જોકે આ કેસમાં તમામ વસ્તુઓ ઊંધી થઈ ગઈ હતી. મારી સાથે જે કંઈ પણ થયું છે તે મારા પતિએ માથે ઉભા રહીને કરાવેલું છે. આ સાથે જ મારા પતિ સાસુ સહિતના એ જે મને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે તેની ફરિયાદ પણ મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં કરેલી છે. 'આપના નેતાઓને મારા ભૂતકાળની જાણ કરીને જ હું પાર્ટીમાં જોડાઈ છું'ગત 12 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના કિરણ ચોક ખાતે ના કાર્યલય ખાતે ગઈ હતી અને ત્યાં પાંડેસરા વિસ્તારના પ્રમુખ નીતાબેન પટેલ ના હસ્તે હું આપમાં જોડાઈ હતી. આ સમયે ઓફિસની અંદર રચનાબેન હિરપરા, મહેશ અણઘણ સહિતના નેતાઓ હાજર હતા. મારા ભૂતકાળ એટલે કે હાઈબ્રીડ ગાંજાનો કેસ અને આ તમામ ઘટનાઓ અંગે આપના નેતા રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી અને પાયલ સાકરીયાને પહેલા જ જાણ કરી હતી. હું આપમાં જોડાઈ છું અને મેં મારા ભૂતકાળ અંગે આપના નેતાઓને જાણ ન કરી હોય તેવું નથી. તમામ માહિતી આપ્યા બાદ જ હું આપના જોડાઈ છું. 'જો આપને લાગતું હોય કે મારા લીધે પાર્ટીને છાંટા ઉડે છે તો હું રાજીનામું આપવા તૈયાર છું'હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં આમ જનતાએ ભાજપ અને આપને આમને સામને કરી દીધા છે. હું એ જરા પણ ઈચ્છતી ન હતી. મારી લડત છે તે વ્યક્તિગત છે. ભાજપના નેતા છે એટલા માટે હું તેમના સામે લડી રહી છું કે એમની સામે લડવા માટે હું આપમાં જોડાઈ છું તેવું નથી. મારી વ્યક્તિગત લડત છે તે હું એકલી જ લડવા માગું છું કોઈ પક્ષને સાથે લઈને લડવા કે વાદવિવાદ કરવા ઇચ્છતી નથી. આમ આદમી પાર્ટીને પણ આ બધી વસ્તુઓના લીધે એવું માનવું હોય કે, તેમની પાર્ટી પર આ કેસને લઈને છાંટા ઉડતા હોય તો હું સ્વેચ્છાએ રાજીનામું આપવા તૈયાર છું. હની પટેલના આક્ષેપો બાદ ભાસ્કરે તેમના પતિ તુષાર ગજેરા અને ભાજપ નેતા પ્રદીપ ભાખરનો પક્ષ જાણવા માટે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો નહોતો. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પરથી છ મહિના પહેલા હની પટેલ પાસેથી 19 કરોડની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:00 am

રાજકોટ મનપાનો 52મો સ્થાપના દિવસ:સ્થાપના સમયે 10 કરોડનું બજેટ આજે 3118 કરોડે પહોંચ્યું, છેલ્લા બે દાયકામાં મિલ્કતમાં ત્રણ ગણો વધારો થયો

દેશ અને દુનિયામાં જાણીતું શહેર એટલે રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજનીતિની વાત હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની વાત હોય દરેક ક્ષેત્રમાં રાજકોટનું આગવું મહત્વ સમાયેલું છે. રાજકોટ શહેરનો ચારેય તરફ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. 19 નવેમ્બર 1973 એટલે રાજકોટ મહાનગ પાલિકાનો સ્થાપના દિવસ છે. વર્ષ 1973થી ફેબ્રુઆરી 1974 સુધી અને 2000થી 2005 ને બાદ કરતા આજ દિવસ સુધી રાજકોટ મનપામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. સ્થાપના સમયે 10 કરોડનું બજેટ આજે વર્ષ 2025-26માં 3118 કરોડ પહોંચ્યું છે બીજી તરફ વિસ્તારની દ્રષ્ટિએ 3 કિલોમીટરનું રાજકોટ આજે 30 કિલોમીટર સુધી ફેલાઈ ગયું છે અને તેમાં પણ છેલ્લા બે દાયકામાં 2 લાખ મિલ્કત વધીને 6 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રાજકોટની સફર આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી, રેસકોર્સથી ન્યુ રેસકોર્સ સુધી, પ્રદ્યુમન પાર્ક ઝૂથી લાયન સફારી પાર્ક સુધી અને મારુતીથી મર્સીડીઝ સુધી સફર પહોંચી છે. ત્યારે આવો જાણીએ રાજકોટ મનપાના 52માં સ્થાપના દિવસે વિકસિત રાજકોટની જાણી અજાણી વાતો. 19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપનારાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરએ દિવ્યભાસ્કર સાથ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. આજે 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો 52મોં સ્થાપના દિવસ છે. આ એ રાજકોટ છે જેને ખુબ જ સંઘર્ષ કર્યો છે. 2000થી 2005ના 5 વર્ષને બાદ કરતા બાકીના તમામ વર્ષોમાં રાજકોટ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે. અમારી ભારતીય જનતા પાર્ટી માટે આ સતા નહિ પરંતુ સેવાનું માધ્યમ છે. સ્થાપના સમયે મનપાનું બજેટ 10.78 કરોડનું હતું જે આજે 2025-26ના નાણાકીય વર્ષમાં 3118.08 કરોડ પહોંચ્યું છે. આ વિકાસ પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના વિકાસમાં સ્વ. ચીમનભાઈ શુક્લ, સ્વ. અરવિંદભાઈ મણિયાર, સ્વ. વિજયભાઈ રૂપાણી, સ્વ. કેશુભાઈ પટેલ અને વજુભાઇ વાળા સાહેબ જેવા અમારા વડીલો આગેવાનોનો સિંહ ફાળો રહ્યો છે. છેલ્લા બે દાયકાની અંદર શહેરમાં 2 લાખની મિલ્કત વધીને 6 લાખને પાર રાજકોટ શહેર નગરપાલિકામાંથી મહાનગર પાલિકામાં 1973માં સમાવેશ થયું ત્યારે માત્ર 3 કિલોમીટરનું રાજકોટ શહેર હતું આજે 30થી 40 કિલોમીટરનો વિસ્તાર વિકસી ગયો છે. સ્થાપના સમયે મિલકતોમાં ખુબ ઓછા ઇમારતો હતા આજે ખુબ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકાની અંદર શહેરમાં 2 લાખની મિલ્કત વધીને 6 લાખને પાર કરી ચુકી છે. રાજકોટ મનપાએ દેશની અગ્રેસર મહાનગર પાલિકામાંની એક મહાનગરપાલિકા છે. આજે રાજકોટ મનપામાં ચારેય દિશામાં સમાંતર વિકાસ થઇ રહ્યો છે. આજ દિવસ સુધી 3 ઝોનમાં રહેલ રાજકોટ આવતા દિવસોમાં ચાર ઝોનમાં કાર્યરત થઇ જશે આ માટે નવી કચેરી 45 કરોડના ખર્ચે બનાવવાની પ્રક્રિયા પણ આ વર્ષના બજેટમાં આવરી લેવામાં આવી છે. તમામ 18 વોર્ડની અંદર સ્માર્ટ વોર્ડ ઓફિસ છે, તમામ 18 વોર્ડમાં સારામાં સારું આધુનિક ખાનગી ક્લિનિક જેવું આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ છે કે જ્યાં બીપી, ડાયાબિટીસથી લઇ હ્ર્દયના રિપોર્ટ પણ આરોગ્ય કેન્દ્રમાં કરી દેવમાં આવે છે. એટલું જ નહિ રાજકોટના વિકાસમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પૂરતો સહયોગ રહ્યો છે જેના કારણે આજે રાજકોટ શહેરનો ચારેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાંરાજકોટ શહેર તમામ ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે આરોગ્ય ક્ષેત્ર. એક સમયે આરોગ્ય કેન્દ્રની સુવિધાસ હતી જે વધીને આગળ સરકારી હોસ્પિટલ અને મોટી મોટી ખાનગી હોસ્પિટલ સુધી તો પહોંચી પરંતુ તેન સાથે સાથે આજે આરોગ્ય લેવલે વિકાસ આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી પહોંચી ગયો છે. રાજકોટ જામનગર રોડ પર ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ રાજકોટમાં થયું છે જેનો લાભ રાજકોટ સૌરાષ્ટ્ર ઉપરાંત આખાએ રાજ્યને ચોક્કસ મળવાનો છે. અને હા માત્ર દર્દીઓ જ નહિ પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ તબીબ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ એક મોટી સિદ્ધિ ચોક્કસ માનવામાં આવે છે. હરવા ફરવા માટે અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, ઈશ્વરીયા પાર્ક...એક સમયે રાજકોટ શહેરમાં ફરવા લાયક સ્થળોની અંદર એક માત્ર રેસકોર્સનો સમાવેશ થતો હતો જેની સામે આજે રાજકોટ શહેરમાં હરવા ફરવા માટે અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, ઈશ્વરીયા પાર્ક, ગાંધી મ્યુઝિયમ, આજીડેમ સાઈડ, ન્યારી ડેમ સાઈડ, રામવન અને લાયન સફારી પાર્કનો સમાવેશ થાય છે જેની કામગીરી હાલ ચાલુમાં છે અને આવતા એક વર્ષની અંદર તે પણ શરૂ થતા પ્રવાસીઓને સાસણ સુધી સિંહ જોવા જવા જરૂર નહિ પડે અને રાજકોટમાં જ સિંહ દર્શનનો લાભ લઇ શકશે. કેસરે હિંદ પુલ રાજકોટનો સૌથી જૂનો પુલઆ તરફ બ્રિજની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર કેસરે હિન્દ પુલ અને સાંઢિયો પુલ બે જ પુલ હતા. કેસરે હિંદ પુલ રાજકોટનો સૌથી જૂનો પુલ છે. 1993-84 દરમિયાન તેને પહોળો કરવામાં આવ્યો હતો. પુલના પુનઃ નિર્માણ ખર્ચની વસૂલાત માટે શહેરી વિસ્તાર માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત કેસરે-હિંદ પુલ ઉપર ટોલ ટેક્સની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી તે જ સમયે ચંપકભાઈ વોરા બ્રિજ બનાવવામાં આવ્યો અને તેમાં પણ ટોલટેક્સ વસૂલાત શરૂ કરવામાં આવી હતી. જો કે, બાદમાં એ વસૂલાત બંધ કરી દેવામાં આવી હતી. સમયાંતરે શહેરમાં નવા બ્રિજોનું નિર્માણ થયું જેમાં મહિલા કોલેજ અંડરબ્રિજ, સ્વામી વિવેકાનંદ ટ્રાય એન્ગલ બ્રિજ, ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ, કેકેવી ચોક ઓવરબ્રિજ, ગોંડલ રોડ બ્રિજ, ભગવતીપરા બ્રિજ, રૈયા ચોક બ્રિજ, રામાપીર ચોક બ્રિજ, મવડી ઓવરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ, આમ્રપાલી અંડરબ્રિજ, લક્ષ્મીનગર અન્ડર બ્રિજ, જડુસ બ્રિજ, માધાપર ચોકડી બ્રિજ, ગોંડલ ચોકડી બ્રિજ, કેકેવી મલ્ટીલેયર બ્રિજ (શ્રી રામ બ્રિજ), વગેરેનો સમાવેશ થાય છે. જયારે હાલમાં કટારિયા ચોક ખાતે સિગ્નેચર બ્રિજની કામગીરી ચાલુમાં છે. લોકનિયુક્ત પ્રતિનિધિઓની સંખ્યા 40 થઈ1949-50માં જ્યારે રાજકોટમાં બરો મ્યુનિસિપાલિટીની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની કુલ સંખ્યા 35 હતી, જે પૈકી 2 બેઠકો મહિલાઓ માટે તેમજ 2 બેઠકો પછાત વર્ગના લોકો માટે અનામત રાખવામાં આવી હતી. એ સમયે સમગ્ર શહેર કુલ 10 વોર્ડમાં વિભાજીત હતું. આ પછી 1960માં ગુજરાત રાજ્યની રચનાના કારણે રાજકોટ શહેરનું રાજકીય મહત્વ વધ્યું જો કે, તેનાથી શહેરની આર્થિક સદ્ધરતા અને વિકાસમાં વિશેષ ફેર પડ્યો ન હતો. 1964-65માં બરો મ્યુનિસિપાલિટીનું રાજકોટ પાલિકામાં રૂપાંતર થયું અને લોકનિયુક્ત પ્રતિનિધિઓની સંખ્યા 40 થઈ હતી. 18 વોર્ડમાં કુલ 72 કોર્પોરેટરો થયાજયારે તા.19 નવેમ્બર 1973ના રોજ રાજકોટ પાલિકાનું મહાપાલિકામાં રૂપાંતર કરાયું અને શહેરનો વહીવટ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીપીએમસી) એક્ટ 1949ના નવા કાયદા હેઠળ મૂકવામાં આવ્યો હતો ત્યારે 69 ચો.કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતા આ શહેરને કુલ 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવ્યું હતું અને સભાસદોની સંખ્યા 51 નક્કી કરવામાં આવી હતી જેમાં બે સીટ પછાત જ્ઞાતિ માટે અનામત રાખવામાં આવી હતી. તમામ વોર્ડમાં સભાસદોની સંખ્યા નક્કી ન હતી. આ પછી 1995માં મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ એ પહેલા રાજકોટની નવી વોર્ડ રચના અમલી બની જે પ્રમાણે 20 વોર્ડ રચાયાં, જેમાં પ્રત્યેક વોર્ડમાં 3-3 કોર્પોરેટરોની સંખ્યા નક્કી કરવામાં આવી હતી. આ પછી 2015માં રાજ્ય સરકારે રાજકોટની હદનું વિસ્તરણ કર્યુ અને નવા વોર્ડ સીમાંકનમાં 23 વોર્ડની સંખ્યા ઘટાડીને 18 કરવામાં આવી ત્યારે વોર્ડ દીઠ 4-4 કોર્પોરેટરો નક્કી કરવામાં આવતા કુલ 72 કોર્પોરેટરો થયાં. ઉલ્લેખનીય છે કે પાછલી વર્ષ 2021ની યોજાયેલી રાજકોટ મહાપાલિકાની 18 વોર્ડની ચૂંટણીમાં ભાજપને 68 અને કોંગ્રેસને 4 બેઠકો પ્રાપ્ત હતી. રાજકોટને ઇન્ટરનેશનલ કક્ષાએ ઓળખ મળી છેરંગીલા રાજકોટની જનતા હરવા ફરવા અને ખાવા પીવાની શોખીન છે એ વાતની સાબિતી પણ ચોક્કસ મળી રહે છે કારણ કે એક સમયના પ્રખ્યાત ગાંઠિયા જલેબીથી આજે હોટ ફેવરિટ છે જ પરંતુ તેની સાથે સાથે ખાવા પીવા માટે નેશનલ ઇન્ટરનૅશન બ્રાન્ડના આઉટલેટ પણ રાજકોટમાં કાર્યરત થઇ ગયા છે. એક સમયે વાહન ખરીદી માટે માત્ર જયુબેલી ચોક અને પ્રમુખ સ્વામી આર્કેડ પ્રખ્યાત હતું આજે શહેરની ચારેય દિશામાં ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરની દરેક બ્રાન્ડ એટલે કે મારુતિથી મર્સીડીઝ સુધી તમામ કંપનીના શોરૂમ રાજકોટમાં ઉપલબ્ધ છે. અને હા આંતરરાષ્ટ્રીય લેવલની વાત આવે તો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમને પણ ભૂલી ન શકાય કારણ કે ઇન્ટરનેશનલ કક્ષાની મેચો રાજકોટના આ સ્ટેડિયમમાં રમાઈ ચુકી છે જેના કારણે પણ રાજકોટને ઇન્ટરનેશનલ કક્ષાએ ઓળખ ચોક્કસ મળી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:00 am

પરિવારે લાશ સ્વીકારી જેની અંતિમવિધિ કરી એ જીવતો મળ્યો:અમૃતસરની હોટલમાં પરિણીત પ્રેમિકા સાથે પોલીસે ઝડપ્યો, કોન્સ્ટેબલની સૂઝબૂઝથી ઉકેલાયો કેસ

ગઇકાલે ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે રાજકોટમાં એક જ સોસાયટીમાં રહેતા પરણિત યુવક વિમલ અને યુવતી વિસ્મિતા ગુમ થઈ ગયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે આજી ડેમની પાળ પરથી યુવતીના કપડા અને સાથે સુસાઇડ નોટ મળી. જેથી યુવતીએ આપઘાત કરી લીધા હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી પણ લાશ ન મળી. બીજી તરફ એ જ સોસાયટીમાંથી ગુમ થયેલા યુવકના કારખાનામાંથી એક લાશ મળી. હત્યા કર્યા બાદ મૃતકનો ચહેરો હથોડા વડે બેરહેમીથી છૂંદી નાખવામાં આવ્યો હતો. છતાં આ લાશ વિમલની હોવાનું તેના જ પરિવારે કબૂલ્યું અને અંતિમવિધિ પણ કરી નાખી. જો કે વિમલ અને વિસ્મિતાના વચ્ચે પ્રેમપ્રકરણ હોવાની વાત પણ ઉડી. એટલે પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લીક કરો.) એક તબક્કે વિસ્મિતાનો પતિ પણ હત્યાના કેસમાં શંકાના ઘેરામાં હતો. પણ તેના વિરુદ્ધ પુરાવા ન મળતા પોલીસે તેને જવા દિધો. વિસ્મિતાએ આત્મહત્યા કરી હોય તો આજી ડેમમાંથી લાશ કેમ ન મળી?કારખામાંથી મળેલી લાશ વિમલની હોય તો તેની હત્યા કોણે અને શા માટે કરી? વાંચો આગળનું ઇન્વેસ્ટિગેશન. 2008ના જાન્યુઆરી મહિનાની 3 તારીખની આ પ્રકરણ શરૂ થયું હતું. ઘટનાને કેટલાય દિવસ વીતી ગયા હતા, છતાં પોલીસને વિમલ રામાણી અને વિસ્મિતા વોરા બન્નેમાંથી એકેય કેસમાં કોઈ લીડ મળી ન હતી. સૌથી ગંભીર વાત તો એ પણ હતી કે વિસ્મિતાનો મૃતદેહ પણ આજી ડેમમાંથી નહોતો મળ્યો. એટલે પોલીસ પણ ઘણા સવાલોમાં ગૂંચવાઈ હતી. કોઇ કડી મળતી ન હોવાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીદારોની મદદ લીધી. જેથી કોઈએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ હોય તો તેની માહિતી મળી શકે અને કેસના સસ્પેન્સ પરથી પડદો ઉઠી શકે. હત્યા અને આત્મહત્યાના આ બન્ને બનાવ હુડકો ચોકીના વિસ્તારમાં બન્યા હતા. ચોકીના પીએસઆઇ બી.એમ.જાડેજા અને કોન્સ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા દ્દઢપણે માનતા હતા કે બન્ને બનાવના તાર એક બીજા સાથે જોડાયેલા છે. વિસ્મિતાનો પતિ ભલે કહેતો હોય તે તેને ખબર નથી કે વિસ્મિતા અને વિમલ વચ્ચે અફેર હતો. પરંતુ આ દિશામાં તપાસ કરવાથી કંઈક મોટું હાથ લાગી શકે એવું બન્નેને પોતાના અનુભવ પરથી લાગતું હતું. આ તાર કઇ રીતે જોડાયેલા હોઇ શકે એ મુદ્દે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ પરમાર, એએસઆઇ રાજભા વાઘેલા, ઇન્દુભા રાણા સહિતના સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેસીને મિટિંગ કરી રહ્યા રહ્યા. ટેબલ પર ફાઇલોના ઢગલા ખડકાયા હતા, ચાના કપ ઠંડા પડી ગયા હતા અને દરેકના મનમાં એક જ સવાલ હતો કે બે અલગ-અલગ બનાવમાં એવું તો શું છે જે હજુ સુધી સામે આવ્યું નથી? પીઆઈ એમ.વી.પરમાર ખુરસી પરથી ઉભા થયા અને ધીમે-ધીમે ડગલા ભરી ચેમ્બરમાં ચાલવા લાગ્યા. એએસઆઈ રાજભા વાઘેલા રાજકોટ શહેરના નકશા પર નજર ફેરવી રહ્યા હતા. ઇન્દુભા રાણા નોટપેડમાં અત્યાર સુધીની કેસની વિગતો લખતા હતા અને પીએસઆઈ બી.એમ.જાડેજા એક ફાઇલ હાથમાં લઈને ધ્યાનથી કંઈક વાંચી રહ્યા હતા. જ્યારે કોન્સ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા ખૂણામાં ઊભા-ઊભા આ કેસમાં અત્યાર સુધી જોયેલી, સાંભળેલી વાતો યાદ કરીને કંઈક ગણિત માંડી રહ્યા હતા. બધાનું મગજ એક જ વાત પર અટકેલું હતું કે બન્ને બનાવ એક જ વિસ્તારમાં, એક જ સમયે બન્યા. આ સંયોગ નથી. બાતમીદારોની મદદ લેવાઈ હતી પરંતુ કશું જ ન મળ્યું. અચાનક પીઆઈની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને આ તમામ લોકોએ એક સાથે દરવાજા તરફ જોયું. પીએસઆઈ સદાવ્રતી પીઆઈની ચેમ્બરમાં આવ્યા. તેમના હાથમાં એક ગુમ થયેલા લોકોની નોંધની ફાઇલ હતી. પીએસઆઈ સદાવ્રતીએ આવતાની સાથે જ પીઆઈને સેલ્યુટ મારી. પછી બોલ્યા, સાહેબ, બાબુ સલાટ નામનો એક મજૂર ગુમ થઈ ગયો છે. મારે તપાસમાં જવું છે, જીપ જોઈએ. પીઆઈ પરમારે કહ્યું, બંને વાહનો ખૂન કેસમાં લીધેલા છે. એટલે તમે બીજી વ્યવસ્થા કરો. આટલું સાંભળીને પીએસઆઈ સદાવ્રતી સેલ્યુટ મારીને ઉતાવળે બહાર નીકળવા જ જતા હતા, ત્યાં કોન્સ્ટેબલ ચંદ્રસિંહે તેમને રોક્યા અને કહ્યું, સાહેબ, એક મિનિટ… ઊભા રહો! પીએસઆઈ સદાવ્રતીએ પાછું વળીને જોયું. એમને લાગ્યું કે કંઈક કામ હશે. એટલે બોલ્યા, બોલો ચંદ્રસિંહ, શું કામ છે? સાહેબ કંઈક પૂછવું છે., ચંદ્રસિંહે જવાબ આપ્યો પીએસઆઈ સદાવ્રતી બોલ્યા, પૂછો ને… શું પૂછવું છે? પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચેની વાતચીત પર હવે સૌકોઈનું ધ્યાન ગયું. ચંદ્રસિંહે પૂછ્યું, સાહેબ, જે મજૂર ગુમ થયાની તમે વાત કરી એનું નામ બાબુ સલાટ છે ને? અને કઈ તારીખે ગુમ થયો? સદાવ્રતીએ ફાઇલ ખોલી, વાંચીને કહ્યું, પાંચ જાન્યુઆરીએ ગુમ થયો હતો. ચંદ્રસિંહની આંખોમાં ચમકારો થયો. તેમનું મગજ ઝડપથી દોડવા લાગ્યું. બોલ્યા, વિસ્મિતા ૩ જાન્યુઆરીએ ગુમ થઈ, પછી આજી ડેમની પાળ પરથી તેનો દુપટ્ટો, ચપ્પલ, સુસાઇડ નોટ મળી પણ મૃતદેહ હજુ નથી મળ્યો. વિમલની લાશ 5 જાન્યુઆરીની રાતે કારખાનામાંથી મળી. લાશની ઓળખ તેના કપડાં, ચાંદીની વીંટી પરથી થઈ. ચંદ્રસિંહે આટલું બોલીને ઊંડો શ્વાસ લીધો. તેમનો અવાજ ધીમો પણ દૃઢ હતો. હવે તમામ પોલીસ અધિકારીઓના ભવાં અદ્ધર ચડી ગયા હતા. થોડીવાર પછી ચંદ્રસિંહે ફરી બોલવાનું શરૂ કર્યું અને તમામ લોકો સામે નજર ફેરવતા કહ્યું, સાહેબ, એ લાશ વિમલની નહીં પણ બાબુ સલાટની હોઈ શકે છે. જરા વિચારો, વિમલે મજૂરની હત્યા કરી હોય પછી પોતાના કપડાં અને વીંટી પહેરાવીને લાશને કેરોસીન છાંટી સળગાવી દીધી હોઈ શકે. વળી રહી વાત વિસ્મિતાની? તો એણે આપઘાત નાટક કર્યું હોય અને એ પણ વિમલ સાથે જ ભાગી ગઈ હોઈ શકે! પીઆઈની ચેમ્બરમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. પીઆઈ પરમારને કોન્સ્ટેબલની વાતમાં દમ લાગ્યો. એટલે તેમણે હામી ભરી હોય એ રીતે મુઠ્ઠીવાળીને ધીમેથી ટેબલ પર પછાડી અને બોલ્યા, ચંદ્રસિંહ... આ તો ગેમ ચેન્જર વાત છે. જો એ લાશ બાબુ સલાટની હોય તો એનો મતલબ વિમલ અને વિસ્મિતા જીવે છે!. ચંદ્રસિંહની આંખોમાં ચમક હતી. એક કોન્સ્ટેબલે કેસની દિશા બદલી નાખી હતી. પીઆઈ પરમાર ઊભા થયા અને બોલ્યા, નવી દિશામાં તપાસ શરૂ કરીએ. બાબુ સલાટના પરિવારને બોલાવીએ. પોલીસે વિમલની કથિત લાશ મળી હતી એ સમયના ફોટા જોયા. નવી થિયરી પર વિચાર કર્યા બાદ એ ફોટામાં એક વાત નોંધવા જેવી લાગી. લાશ પાસે વિમલની ચપ્પલ પડી હતી. પરંતુ તેના પર રાખ કે તણખલા દેખાતા ન હતા. એનું એક અર્થઘટન એવું પણ હતું કે કદાચ લાશને સળગાવ્યા બાદ ભાગતા સમયે છેલ્લીવેળા ચપ્પલ મૂકી દીધી હોય. આ કેસની તપાસ માટે પોલીસે હવે ત્રણ અલગ-અલગ ટીમ બનાવી. ત્રણેય ટીમને જુદી-જુદી દિશામાં તપાસ કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું. એક ટીમ વિમલ રામાણીના કારખાને પહોંચી અને ફરી એકવાર નિરિક્ષણ કરીને પુરાવા એકઠાં કરવામાં લાગી. બીજી ટીમે વિમલ અને વિસ્મિતાની કોલ ડિટેલ અને બીજા ટેક્નિકલ પુરાવા શોધવાનું કામ શરૂ કરી દીધું. જ્યારે ત્રીજી ટીમ મજૂર બાબુ સલાટ નામનું છેલ્લું પગેરું શોધવામાં લાગી. બાબુ ક્યાં રહેતો હતો? શું-શું કામ કરતો હતો? કોઈ સાથે જતો આવતો હતો? તેની બેઠક ક્યાં હતી? અને છેલ્લે તેણે કોણે જોયો હતો? સવાલોનું લાંબું લિસ્ટ હતું. પણ ઇન્વેસ્ટિગેશનમાં જોડાયેલા અધિકારીઓને હવે ખબર હતી કે નક્કી આ દિશામાં તપાસ કરવાથી કેસ ઉકેલાઈ જશે. પીએસઆઇ જાડેજા અને કોન્સ્ટેબલ ચંદ્રસિંહ બાબુ સલાટની શોધખોળમાં લાગ્યા હતા. મજૂરોની બેઠક કોઠારિયા ચોકડી પાસે આવેલી પાનની એક કેબિને હોવાની માહિતી મળી. એટલે બન્ને પોલીસકર્મી એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં શિવાભાઈ નામનો એક વ્યક્તિ કેબિને બેસીને પાન-મસાલા અને ચા વેચતો હતો. કોન્સ્ટેબલ ચંદ્રસિંહએ કેબિન સંચાલક શિવાભાઈને સવાલ કર્યો, બાબુ સલાટ અહીં બેસતો હતો ને? શિવાભાઈએ કહ્યું, હા સાહેબ… મજૂરો અહીંયાંથી જ સવારે જતા અને સાંજે પણ આંટો મારતા હોય છે. ચંદ્રસિંહે બીજો સવાલ કર્યો, તો છેલ્લે એને ક્યારે જોયો? શિવાભાઈએ જરા વિચારીને કહ્યું, એને જોયે તો ઘણા દિવસો થયા. કેમ શું થયું? ચંદ્રસિંહે પૂછ્યું, અમને ખબર મળી છે કે 5 જાન્યુઆરીએ એ તારી કેબિન પર આવ્યો હતો પછી મળતો નથી. શું થયું હતું એ દિવસે યાદ કરીને કહે? શિવાભાઈએ પાન ચાવતા-ચાવતા આંખો ઝીણી કરી અને બોલ્યો, હા સાહેબ યાદ આવ્યું. એ સાંજે એક બાઇકવાળો આવ્યો હતો. કહેતો હતો બંગડીના કારખાનામાં છોલકામ કરવાનું છે, શનિ-રવિ મજૂર આવતા નથી. એટલે હંગામી મજૂર જોઈએ. મેં કહ્યું, અહીં અત્યારે તો એવું કોઈ નથી. ત્યારે એ બાઇકવાળાએ કહ્યું, રોજના 300-400 રૂપિયા આપીશ. કોઈ ધ્યાને હોય તો કહેજે. શિવાભાઈએ આગળ કહ્યું, સાહેબ અમારી વાત ચાલતી જ હતી ત્યાં બાંકડે બેઠેલો બાબુ ઊભો થયો અને બોલ્યો 400 મળે તો હું આવું. બાઇકવાળાએ કહ્યું હતું, 10 મિનિટ અહીં બેસ. હું એક કામ પતાવીને આવું છું. વાયદા પ્રમાણે થોડીવારે બાઇકવાળો પાછો પણ આવ્યો. પણ સાહેબ મેં જોયું કે એની બાઇક પર કેરબામાં કેરોસીન ભરેલું હતું. બાબુને બાઇક પાછળ બેસાડીને લઈ ગયો. એ પછી બાબુ ક્યારેય ન આવ્યો. કેબિન સંચાલક શિવાભાઇએ પૂછપરછમાં તેણે જે માહિતી આપી એ સાંભળીને પોલીસ સ્તબ્ધ બની ગઇ હતી. કારણ કે કોન્સ્ટેબલ ચંદ્રસિંહે જે અંદાજો પોલીસ સ્ટેશનમાં ઉભા-ઉભા લગાવ્યો હતો એ સાચો પડે એમ લાગવાની હવે પૂરેપૂરી સંભાવના દેખાતી હતી અને આ સાથે જ એક લોહીયાળ ષડયંત્રનો ખુલાસો પણ થવા જઈ રહ્યો હતો. આટલા સમયમાં હવે વિમલ અને વિસ્મિતાના મોબાઇલની કોલડિટેલની માહિતી પણ આવી ગઈ હતી. વિસ્મિતા 3 જાન્યુઆરી, 2008ના રોજ ગુમ થઈ એ સમયે તેણે છેલ્લે એક ફોન કર્યો હતો. આ દિશામાં ડિટેલ ચકાસતા ખબર પડી કે રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારની એક મહિલાનો નંબર હતો. પોલીસ તપાસની ગતિ એકદમ તેજ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફની એક ટીમ એ મહિલા સુધી પહોંચી ગઈ જેને વિસ્મિતાએ છેલ્લે કોલ કર્યો હતો. સાંકડી ગલીઓ વચ્ચે આવેલા એક જૂના મકાને જઈને પોલીસે દરવાજો ખખડાવ્યો. અંદરથી એક મહિલા બહાર આવી. મહિલાની પૂછપરછ કરતા તેણીએ નવા ખુલાસા કર્યા. કહ્યું, થોડા દિવસ પહેલાં એક કપલ આવ્યું હતું. તેમણે લાઇટ બીલ સહિત માસિક 1 હજાર રૂપિયાના ભાડેથી ઓરડી રાખી હતી. પછી 3 તારીખે આ મહિલાએ મને ફોન કરીને પૂછ્યું હતું કે મારા પતિ ત્યાં આવ્યા છે કે નહીં, એ જોઈને કહોને. બસ આટલી અમારી વાતચીત થઈ હતી. આમ, તપાસની એક-એક કડી જોડાતી ગઇ. વિમલે જ પોતાની હત્યા થયાનું સાબિત કરવા નિર્દોષ મજૂરનો જીવ લઇ લીધો હતો એ થિયરી સ્પષ્ટ થઇ ગઇ. પરંતુ પુરાવા મળતા ન હતા. એટલું જ નહીં, જો વિમલ અને વિસ્મિતા જીવતા હોય તો ક્યાં હોઈ શકે એ દિશામાં પણ પોલીસ તપાસ કરવાની બાકી જ હતી. બાબુ સલાટની શોધખોળ માટે લાગેલી ટીમે તેના વિશેની રજેરજની માહિતી ભેગી કરી લીધી. એમાં એક મહત્વની કડી મળી. મજૂર બાબુ સલાટનો એક દાંત ચાંદીનો હતો. એટલે પોલીસે વિમલના કારખાનેથી મળેલી લાશનો પોસ્ટમોર્ટમની ફાઇલ ફરીથી ખોલી. પીએમ કરનાર ડૉક્ટરે બનાવેલા રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે મૃતકનો એક દાંત ચાંદીનો હતો. રિપોર્ટમાં લખેલા આ એક વાક્ય પરથી સ્પષ્ટ થઈ ગયું કે કારખાનામાંથી મળેલી લાશ વિમલની નહીં પણ મજૂર બાબુ સલાટની હતી. જો કે આ માહિતી મળી એ જ સમયે પોલીસ સામે બીજો એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. પોલીસને જાણવા મળ્યું કે વિમલના કારખાનામાં નોકરી કરતો અનિલ સાહુ નામનો એક મજૂર કેટલાક દિવસથી ગુમ છે. પહેલેથી જ વિમલ, વિસ્મિતા અને બાબુ સલાટ ગુમ હતા. જેમાંથી માત્ર બાબુની લાશ મળી ગઈ હતી. ત્યાં આ કેસમાં અનિલ સાહુના નામે આવેલા નવા વળાંકે પોલીસની તપાસમાં સ્પીડબ્રેકરનું કામ કર્યું. કારણ કે હવે પોલીસ સામે સવાલ એ પણ હતો કે વિમલ રામાણીએ હત્યા બાબુની કરી હોય તો અનિલ ક્યાં હશે? અથવા તો શું બાબુની હત્યામાં અનિલનો રોલ છે? પોલીસે અનિલના ભાઇને પૂછપરછ માટે બોલાવ્યો. અનિલના ભાઇએ કહ્યું, “સાહેબ…મારો ભાઈ ક્યાંક ગુમ નથી થયો, એનો તો મોબાઇલ ચાલુ છે અમે અમારે વાતચીત પણ થાય છે.“ પોલીસે તેના ભાઇ પાસે અનિલને ફોન કરાવીને તે ક્યાં છે એ પૂછવા કહ્યું. વાતચીતમાં તે પોલીસની સાથે છે તેની જાણ ન થાય તેવી તકેદારી રાખવા કડક સૂચના આપી. પેલા યુવકે તેના ભાઈ અનિલનો નંબર ડાયલ કરીને સ્પીકર ચાલુ કર્યું. ત્રણથી ચાર રિંગમાં જ અનિલે ફોન ઉપાડી લીધો અને બોલ્યો, હા ભાઈ… શું થયું? અનિલના ભાઈએ સવાલ કર્યો, “તું ક્યાં છે? જવાબમાં અનિલ બોલ્યો, “ભાઈ હું અમૃતસરમાં છું. બે મિત્રો સાથે આવ્યો છું. કંઈ કામ છે? “ના... બસ એમ જ પૂછ્યું. તું ક્યાં રહે છે? અનિલના ભાઈએ સવાલ કર્યો. જેના જવાબમાં તેણે કેટલીક વિગતો આપી. પછી થોડી આડીઅવળી વાતો થઈ એટલે પોલીસ ફોન મૂકવાનો ઇશારો કર્યો. ફોન કટ થઈ ગયો અને પોલીસ માટે તપાસની દિશાના નવા દરવાજા ખૂલી ગયા. ભક્તિનગર પોલીસની ટીમે રાજકોટના પોલીસ કમિશનર સુધી આ આખાય ઘટનાક્રમની માહિતી પહોંચાડી. બે લોકોએ કેવું રીતે ષડયંત્ર રચીને પોતાના પરિવાર અને પોલીસની આંખામાં ધૂળ નાખી અને નિર્દોષની હત્યા કરીને રાજ્ય બહાર જતા રહ્યા, આ વાત ઘણા સવાલો ઉભા કરતી હતી. એટલે ભક્તિનગર પોલીસની ટીમને તપાસ માટે અમૃતસર જવાની પરમિશન મળી ગઈ. એક ટીમને તાબડતોડ અમૃતસર રવાના કરવામાં આવી. સાડા બારસો કિલોમીટરનું અંતર કાપીને પોલીસ ત્યાં પહોંચી. એ અરસામાં મોબાઇલ લોકેશનના આધારે ખબર પડી ગઈ હતી કે અનિલ તેના મિત્રો સાથે કંઈ હોટલમાં રોકાયો છે. જો કે હજુ સુધી 100 ટકા ખાતરી ન હતી કે અનિલ સાથે રોકાયેલા બે મિત્રો વિમલ અને વિસ્મિતા જ છે. પોલીસ ટીમ અમૃતસરની એક હોટલમાં પહોંચી અને રિસેસ્પશન પરથી કેટલીક માહિતી મેળવી લીધી જેનાથી પાક્કું થઈ ગયું કે રાજકોટથી આવેલા ત્રણ લોકો એક રૂમમાં કેટલાક દિવસથી રોકાયા છે. હવે હોટલના સર્વિસ બોયને પોલીસે આગળ કર્યો અને શંકાસ્પદ લોકો જે રૂમમાં રોકાયા છે ત્યાં લઈ જવા કહ્યું. સાથે જ એક ડુપ્લિકેટ ચાવી પણ લઈ લીધી. એક રૂમના દરવાજે પહોંચીને પોલીસને સર્વિસ બોયે ઇશારો કર્યો કે આ રૂમમાં શંકાસ્પદ લોકો છે. પોલીસ અધિકારીએ પણ ઇશારામાં કહ્યું, ચાવી લગાવીને દરવાજો ખોલી નાખ. તાળામાં ચાવી ઘુમેડી એટલે સર્વિસ બોયને પોલીસે પાછો ખેંચી લીધો અને એક જોરદાર ધક્કો મારીને દરવાજો ખોલી નાખ્યો. પળવારમાં ચાર પોલીસકર્મી રૂમમાં ઘુસી ગયા. અંદર ત્રણ લોકો હતા, વિમલ રામાણી, વિસ્મિતા વોરા અને અનિલ સાહુ. પોલીસને જોતા જ ત્રણેય રીતસર ફફડી ઉઠ્યા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે પોલીસ તેમના સુધી આવી રીતે પહોંચી જશે. વિમલ અને વિસ્મિતા તો માની જ બેઠાં હતા કે તેમના મોતની વાત પરિવાર, પોલીસે સ્વિકારી લીધી હશે અને હવે પોલીસ તેમના સુધી ક્યારેય નહીં પહોંચી શકે. પણ સામે ચાર પોલીસકર્મીને જોઈને આ લોકની હાલત કાપો તો લોહી ન નિકળે એવી થઇ ગઇ હતી. પોલીસની ટીમ ત્રણેયને લઇને અમૃતસરથી રાજકોટ પહોંચી અને કોર્ટમાં રજૂ કર્યા. રિમાન્ડ પર સોંપાયેલા વિમલે હવે પોલીસ કસ્ટડીમાં પોતાની પ્રેમકહાનીનો કિસ્સો કહેવાનો શરૂ કર્યો. વિમલે પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે, તેની જ સોસાયટીમાં ઘરની નજીક રહેતી વિસ્મિતા સાથે આંખ મળી ગઇ હતી. વિસ્મિતા પરણિત હતી. છતાં બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. આ દરમિયાન પરિવારજનોએ વિમલને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો વિમલ ન જ માન્યો પણ પરિવારના લોકો સામે તેની એક ન ચાલી અને આખરે તેની જ જ્ઞાતિની યુવતી સાથે સગાઇ કરી નાખવામાં આવી. સગાઈ બાદ પણ વિમલ અને વિસ્મિતા વચ્ચે અફેર ચાલુ જ હતો. 2007ના ડિસેમ્બર મહિનામાં વિમલના લગ્ન થઈ ગયા હતા. પરંતુ તેના મનમાં તો હંમેશા વિસ્મિતાનું જ નામ ગૂંજતું હતું. જો કે વિસ્મિતા પણ હવે પોતાના પતિ, પરિવારને છોડવીને વિમલ સાથે ઘરસંસાર માંડવા માટે તૈયાર હતી. પરંતુ તેની શક્યતા દેખાતી ન હતી. પણ એક દિવસ વિમલને ફિલ્મ અંધાકાનૂનમાં અમરીશ પુરીનું પાત્ર જોઈને એક ઝબાકો થયો. વિમલે એક દિવસે વિસ્મિતાને વાત કરી અને વ્યવસ્થિત ષડયંત્ર ગોઠવ્યું. બન્નેએ બનાવેલા પ્લાન મુજબ બાબુ સલાટ નામના મજૂરને વધુ રૂપિયાની લાલચ આપી અને કારખાને લઈ ગયો. એ સમયે વિમલે પોતાની સાથે પાંચેક લિટર જેટલું કેરોસીન પણ લઈ લીધું હતું. કારખાને પહોંચ્યા બાદ વિમલે મજૂરને વાયર વડે ગળે ટૂંપો આપી દીધો. થોડીવાર તડફડીયા માર્યા બાદ બાબુ સલાટનો જીવ જતો રહ્યો. ત્યાર બાદ વિમલે પોતાના કપડા ઉતારીને બાબુ સલાટને પહેંરાવી દીધા. પછી બેરહેમ બનીને મજબૂત કુહાડા વડે ઘણા સમય સુધી ઘા મારીને માથું છૂંદી નાખ્યું, જેથી ચહેરો જોઈને લાશની ઓળખ ન થઈ શકે. છેલ્લે તેણે કેરોસીન રેડીને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે લાશ પૂરેપૂરી સળગે નહીં. એ સાબિત કરવા માગતો હતો કે કોઈને પણ લાગે કે આ લાશ વિમલની જ છે. બીજી તરફ વિસ્મિતા પણ યોજના મુજબ કામે લાગી ગઈ હતી. હત્યાના બે દિવસ પહેલાં જ વિસ્મિતાએ પોતાના હાથે સુસાઇડ નોટ લખી નાખી હતી. પછી સુસાઇડ નોટ, દુપટ્ટો અને ચપ્પલ વિમલને આપી દીધા હતા. આ ત્રણેય વસ્તુ વિમલ આજી ડેમની પાળ પર મુકી આવ્યો હતો. પરિણિત પ્રેમી યુગલે એક થવા અને પરિવારજનો તેમને શોધે નહીં એ માટે નિર્દોષ મજૂરની હત્યા કરીને જે નાટક કર્યું હતું એ વાત બન્નેના પરિવારજનો માનવા તૈયાર ન હતા. પોલીસે રિમાન્ડ પૂરી થયા પછી ત્રણેયને જેલ હવાલે કર્યા હતા. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલ્યો. જેમાં જજ સી.એચ.શુક્લએ હત્યા અને પૂર્વયોજિત કાવતરાના ગુનામાં વિમલ અને વિસ્મિતાને આજીવન કેદની સજા ફટકારી. તેમજ 25-25 હજાર રૂપિયા દંડ તથા પૂરાવાનો નાશ કરવાના ગુનામાં ત્રણ વર્ષની સજા અને 5-5 હજાર રૂપિયા દંડ તેમજ દંડની રકમ મૃતક બાબુ સલાટના પરિવારજનને ચૂકવી આપવા આદેશ કર્યો હતો. જ્યારે અનિલ સાહુને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:00 am

કરસનભાઈ પટેલે અમદાવાદમાં ઘેર-ઘેર ફરી પાઉડર વેચ્યો:1000 રૂપિયા ઉધાર લઈ નિરમા ઊભી કરી, વિદેશી કંપનીઓને ધોળા દિવસે તારા બતાવી દીધા

આઝાદી પહેલાં દેશમાં ટાટા, બિરલા, કિર્લોસ્કર જેવા ગણતરીના બિઝનેસ સમૂહો જોવા મળતા હતા. તે સમયે એવું મનાતું કે ઉદ્યોગપતિને ત્યાં જન્મ લઈએ તો જ બિઝનેસમેન બની શકાય. આવી કઠિન પરિસ્થિતિમાં ગુજરાતના સાવ નાનકડા ગામમાં જન્મ લઈને વિદેશી કંપનીને ટક્કર આપવી તે નાની વાત બિલકુલ નથી. ‘નિરમા’ કંપની આજે જાણીતી બ્રાન્ડ બની ગઈ છે, પરંતુ તેની શરૂઆત તદ્દન નાના પાયે થઈ હતી. 'લક્ષાધિપતિ'માં આજે આપણે વાત કરીશું કરસનભાઈ પટેલની. સરકારી નોકરી છોડીને કેવી રીતે નિરમા કંપની ઊભી કરી? હરીફોને કેવી રીતે માત આપી? નિરમા નામ જ કેમ રાખ્યું? આજે બીજી પેઢી નિરમા ગ્રૂપનું સુકાન સંભાળી રહી છે. નિરમા ગ્રૂપ કયા કયા સેક્ટરમાં કામ કરી રહી છે? કરસનભાઈ પટેલનો જન્મ 1944માં સાતમી જાન્યુઆરીએ ગુજરાતના મહેસાણાના રૂપપરા ગામમાં ખોડીદાસ વનમાળીદાસ પટેલના ઘરમાં થયો. પિતા ખોડીદાસ ખેડૂત હતા તો માતા જેઠીબહેન ઘર સંભાળતાં. રૂપપરા ગામની વસતિ માંડ હજારેક જેટલી હતી. કરસનભાઈનો જન્મ થયો તે પહેલાં પરિવારમાં ત્રણ દીકરીઓ હતી, ત્યારબાદ એક દીકરો ને એક દીકરીનો જન્મ થયો. કરસનભાઈ છ સંતાનોમાં ચોથા નંબરે હતા. પરિવાર વધુ ભણવવા માગતો નહોતોપિતા ખોડીદાસની વાત કરીએ તો, ખોડીદાસ એકદમ ધર્મપરાયણ ને પોતાના કામથી નિસબત રાખનારા હતા. ગામમાં ખોડીદાસનું સારું એવું માન-સન્માન હતું. પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હતી. કરસનભાઈ ગામથી ત્રણ કિમી દૂર આવેલી સ્કૂલે પગપાળા જ હતા. નાનપણથી જ કરસનભાઈ ભણવામાં હોંશિયાર હોવા છતાં પિતાની ઈચ્છા એવી કે દીકરો જલ્દીથી ભણીને ખેતી કામમાં જોડાઈ જાય તો સારું. અલબત્ત, કરનસભાઈની ઈચ્છા તો આગળ ભણવાની હતી. સ્કૂલનું શિક્ષણ પૂરું થતાં જ તેમણે અમદાવાદમાં સાયન્સ કોલેજમાં એડમિશન લીધું. આ સાથે જ તેમણે પિતાને હૈયાધારણા આપી કે તેઓ અભ્યાસનો ખર્ચ ક્યારેય પરિવાર પાસે માગશે નહીં અને પોતાની રીતે જ તે ખર્ચ ઉઠાવશે. 21 વર્ષની ઉંમરે કરસનભાઈએ કેમિસ્ટ્રી સાથે B.Sc પાસ કર્યું. તરત જ નોકરી મળી ગઈસાયન્સ ગ્રેજ્યુએટ હોવાને કારણે કરસનભાઈને નોકરી શોધવામાં ખાસ વાર ના લાગી અને તેમને અમદાવાદમાં લાલભાઈ ગ્રૂપની ન્યૂ કોટન મિલની લેબોરેટરીમાં આસિસ્ટન્ટની નોકરી મળી પણ ગઈ. તે સમયે મિલમાં કાપડ માટે પ્રવાહી ડિટર્જન્ટનો ઉપયોગ કરવામાં આવતો. કરસનભાઈએ થોડો સમય ત્યાં નોકરી કરી ને પછી ગાંધીનગરમાં ગુજરાત રાજ્યના ખાણ-ખનિજ વિભાગની લેબોરેટરીમાં જોડાઈ ગયા. વધારાની આવક મેળવવા પાઉડર બનાવવાનું વિચાર્યુંકરસનભાઈના મનમાં હજી સુધી પોતાનું કંઈક શરૂ કરવાનો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો. જોકે, તેઓ સતત મનમાં એ વાત વિચારતા કે પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત કરવા તેમણે નોકરી ઉપરાંત વધારાની આવક માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. થોડો સમય આ અંગે વિચાર્યા બાદ તેમણે નક્કી કર્યું કે તેઓ ડિટર્જન્ટ પાઉડર જાતે બનાવે. 60ના દાયકામાં લિક્વિડ ડિટર્જન્ટનું ચલણ વધારે હતું અને પાઉડર ફોર્મમાં ત્યારે માર્કેટમાં માત્ર સર્ફ જ વેચાતો મળતો. આ ઉપરાંત ત્યારે સાબુની ગોટી મળતી અને તેને ઊકળતા પાણીમાં નાખીને કપડાં પલાળવામાં આવતા. પાઉડર બનાવવા માટે મોંઘી મશીનરીની જરૂર પડતી તેવા સંજોગોમાં કરસનભાઈએ પોતાની રીતે પાઉડર બનાવવાનું જોખમ ઉઠાવ્યું. પ્લાસ્ટિકની થેલીમાં પેક કરતાકેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું હોવાથી કરસનભાઈને ખ્યાલ હતો કે પાઉડર કેવી રીતે બને. તેમણે પોતાના એક રૂમના મકાનમાં જ પાઉડર બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો કરસનભાઈ લિક્વિડ ડિટર્જન્ટ બનાવવા જતા હતા અને આ દરમિયાન તેમને પાઉડરની ફોર્મ્યૂલા મળી ગઈ. કરસનભાઈ પ્લાસ્ટિકની થેલીમાં પાઉડર પેક કરીને પછી મીણબત્તીની જ્યોત પર ધરીને સીલબંધ કરી દેતા. રવિવારની રજા હોય ત્યારે સાયકલ પર અમદાવાદમાં વેચવા નીકળતા. શરૂઆતમાં તો કરસનભાઈ ઓળખીતાઓને જ પાઉડર આપતા. કરસનભાઈનો સ્વભાવ બહુ શાંત ને ઓછાબોલો હોવાથી તે જાતે પોતાના પાઉડરનાં વખાણ કે માર્કેટિંગ કરતા નહીં. તેમને પોતાની ફોર્મ્યૂલા પર વિશ્વાસ હતો કે એકવાર જે વાપરશે તે બીજીવાર વાપર્યા વગર રહેશે નહીં. આ જ કારણે કરનસભાઈએ નક્કી કર્યું હતું કે પાઉડર વાપર્યા પછી જો કોઈ ગ્રાહકને સંતોષ ના મળે અથવા ગમશે નહીં તો તે પૈસા પરત કરી દેશે. આ તેમની આ નીતિ કામ કરી ગઈ. લોકોનો કરસનભાઈ પર વિશ્વાસ વધ્યો ને પાઉડર જે એકવાર વાપરે તે બીજીવાર વાપર્યા વગર રહી શકે નહીં. ધીમે ધીમે માઉથ પબ્લિસિટીને કારણે પાઉડર અન્ય લોકો પણ ખરીદવા લાગ્યા. હજી પણ કરસનભાઈ નોકરી કરતા જ હતા અને દર રવિવારે જ આ રીતે વેચવા જતા. સતત ત્રણેક વર્ષ સુધી તેમણે આ રીતે ડિટર્જન્ટ પાઉડર વેચ્યો. કરસનભાઈએ હવે કંઈક અલગ કરવાનું વિચાર્યું. ભારતમાં 50ના દાયકાથી ડિટર્જન્ટનો વપરાશ થવા લાગ્યોભારતમાં 1957માં હિન્દુસ્તાન લીવરે ‘સર્ફ’ પાઉડર વેચવાનું શરૂ કર્યું હતું. હિન્દુસ્તાન લીવર મલ્ટિનેશનલ કંપની હતી અને તેની પાસે ચિક્કાર નાણાં ને માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. આ ઉપરાંત તે સમયે માર્કેટમાં ટાટા ઓઇલ મિલ, કર્ણાટક સરકારની સાબુ ફેક્ટરી, ગોદરેજ, સ્વસ્તિક સહિતની કંપનીઓ ડિટર્જન્ટ બનાવતી હતી. અલબત્ત, આ તમામ ભારતીય કંપનીઓએ હિન્દુસ્તાન લીવર સામે બાથ ભીડવાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો. માર્કેટનો મોટાભાગનો હિસ્સો હિન્દુસ્તાન લીવર પાસે જ હતો. માર્કેટમાં તે સમયે હિન્દુસ્તાન લીવરનો કપડાં ધોવાનો સાબુ ‘રિન’નો દબદબો હતો. આ સમયે ગુજરાતી પટેલ ભાયડાએ ડિટર્જન્ટના માર્કેટમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. કરસનભાઈને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે જો તેમના પાઉડરનું પ્રોડક્શન તથા માર્કેટિંગ મોટાપાયે કરવામાં આવે તો તેનું વેચાણ શક્ય છે. કરસનભાઈને એ વાત પણ ખ્યાલ હતી કે માર્કેટમાં સર્ફનો અન્ય કોઈ વિકલ્પ નથી એટલે ગ્રાહકને જો સારો વિકલ્પ આપવામાં આવે તો તે જરૂરથી તે અપનાવશે. મિત્રો પાસેથી ઊછીના રૂપિયા લીધાકરસનભાઈએ નક્કી તો કરી નાખ્યું કે પાઉડર બનાવીને વેચવો છે, પરંતુ તે નાનું સૂનું કામ નહોતું. પાઉડર બનાવવા માટે પૈસાની જરૂર પડે અને તેઓ નોકરિયાત હતા તો તેમની પાસે સ્વાભાવિક રીતે જ પૈસા ના હોય. તેમણે મિત્રો ને ઓળખીતા પાસેથી હજાર રૂપિયા ઉધાર લીધા અને નિરમા કેમિકલ વર્ક્સની શરૂઆત કરી. કરસનભાઈને એ વાતનો અંદાજ હતો કે તેઓ આમાંથી કમાણી કરી લેશે. આ જ કારણે તેમણે સરકારી નોકરી છોડી દીધી. અમદાવાદમાં શૅડ ખરીદીને ત્યાં ડિટર્જન્ટ પાઉડર બનાવવાનું શરૂ કર્યું. તેમણે દીકરી નિરૂપમાના નામ પરથી નિરમા પાઉડર નામ આપ્યું. કરસનભાઈનું એક જ સૂત્રઃ સંતોષ ન થાય તો પૈસા પાછા કેવી રીતે નિરમાએ હિન્દુસ્તાન લીવર સામે બાથ ભીડી?કરસનભાઈને ખ્યાલ હતો કે હિન્દુસ્તાન લીવરનો સર્ફ તે સમયે 13 રૂપિયે કિલો મળતો હતો. આ કિંમત ઘણી જ વધારે હતી. તેમણે નિરમા પાઉડર માત્ર સાડા ત્રણ રૂપિયે કિલો વેચવાનું શરૂ કર્યું. લોકોનાં મનમાં એ વાત હતી કે મોંઘું હોય તો જ સારું મળે તે વાત તેમને ખોટી સાબિત કરી દીધી. આ ઉપરાંત તે સમયે પાઉડર પૂંઠાના બોક્સમાં મળતા, પરંતુ કરસનભાઈએ પ્લાસ્ટિક બેગમાં વેચવાનું શરૂ કર્યું એટલે ઓછા ખર્ચમાં વધુ પેકેટ્સ ટ્રક કે અન્ય વાહનમાં રાખી શકતા. કરસનભાઈએ જિલ્લા પ્રમાણે એજન્ટ નીમ્યા. આ બધી ટેક્નિકને કારણે નિરમા પાઉડર અનેક શહેરોમાં વેચવા લાગ્યો. પહેલા જ વર્ષે નિરમા પાઉડરે 24 ટન ઉત્પાદન કર્યું. ચાર-પાંચ વર્ષમાં જ નિરમા પાઉડર જાણીતો બની ગયો, પરંતુ તે હજી પણ લઘુ ઉદ્યોગ જ ગણાતો. સાદી પ્લાસ્ટિકની થેલીમાં પીળા રંગનો નિરમા પાઉડર ગૃહિણીઓની પહેલી પસંદ બની ગયો. 1975માં પહેલી રેડિયો જાહેરાત આવીકરસનભાઈએ નિરમાનું વેચાણ વધારવા માટે 1975માં પહેલી જ વાર રેડિયો પર જાહેરાત આપી. આ જાહેરાત પૂર્ણિમા એડવર્ટાઇઝિંગ કંપનીએ તૈયાર કરી હતી અને સંગીતકાર વેદપાલે તૈયાર કરેલી ટેગલાઇન 'વોશિંગ પાઉડર નિરમા' ઘેરઘેર જાણીતી થઈ. 1982માં પહેલી જ વાર ટીવી પર નિરમાની જાહેરાત આવી.આ જાહેરાતમાં તે સમયની લોકપ્રિય એક્ટ્રેસ સંગીતા બિજલાની હતી. ટીવીની જાહેરાતમાં 'દૂધ સી સફેદી નિરમા સે આયે, રંગીન કપડા ભી ખિલ ખિલ જાયે...' સાથે આવી અને આજે પણ આ જાહેરાત એટલી જ લોકપ્રિય છે. આજે પણ આ મૂળ ધૂન જાહેરાતમાં સાંભળવા મળે છે. હિન્દુસ્તાન લીવરની પીછેહઠજ્યારે નિરમા પાઉડર માર્કેટમાં આવ્યો ત્યારે હિન્દુસ્તાન લીવરે તેની તરફ ધ્યાન પણ આપ્યું નહોતું. હિન્દુસ્તાન લીવર માટે નિરમા એવી કોઈ મોટી પ્રોડક્ટ નહોતી. જોકે, થોડાં જ વર્ષોમાં માર્કેટમાં નિરમાનો વ્યાપ વધતો ચાલ્યો ને હિન્દુસ્તાન લીવર પાછળ પડવા લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે માર્કેટમાં નિરમાના ભળતા નામથી પણ કેટલાક લોકો ડિટર્જન્ટ પાઉડર લઈને આવ્યા, પરંતુ તે ખાસ ચાલ્યા નહીં. કરસનભાઈ ફેમિલીમેન છેકરનસભાઈને આ સાહસમાં પત્ની શાંતાબહેને ભરપૂર સાથ આપ્યો. બિઝનેસમેન હોવા છતાં કરસનભાઈની લાઇફસ્ટાઇલમાં ખાસ ફેર આવ્યો નહીં. તેઓ ફેમિલીમેન તરીકે જાણીતા છે. પરિવારમાં તેમને ચાર સંતાનો. બે દીકરીઓ નિરૂપમા તથા પુનીતા. બે દીકરાઓ રાકેશ તથા હીરેન. જોકે, દીકરી નિરૂપમા સ્કૂલમાં ભણતી હતી અને એક દિવસ સ્કૂલેથી આવતા સમયે અકસ્માતમાં અવસાન થયું. કરસનભાઈ લાડલી દીકરીને ઘરમાં નિરમા કહીને બોલાવતા હતા અને જ્યારે તેમણે પાઉડર બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમણે નિરમા નામ આપીને દીકરીને હંમેશ માટે અમર કરી દીધી. લઘુ ઉદ્યોગ પર સરકારે 15% ટેક્સ નાખ્યોનિરમાનો દરજ્જો શરૂઆતનાં ઘણાં વર્ષો સુધી લઘુ ઉદ્યોગ તરીકે હતો. લઘુ ઉદ્યોગ હોવા છતાં નિરમા ઘણો જ નફો કરતી હતી અને આ સમયે સરકારે અચાનક જ લઘુ ઉદ્યોગો પર 15% ટેક્સ ઝીંકી દીધો. સરકારની આ નીતિને કારણે અનેક લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા. અલબત્ત, કરસનભાઈએ આફતને અવસરમાં બદલવાનું નક્કી કર્યું. અમેરિકાની ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં આ અંગે વાત કરતાં લખ્યું હતું, 'પટેલની સફળતા ભારતમાં જરા અલગ પ્રકારની છે. દેશના મોટાભાગના બિઝનેસમેન દેશનું નિયમન કરતાં અર્થતંત્રના નીતિનિયમોમાં છૂટછાટ લેવા માટે રાજકીય વગનો ઉપયોગ કરતા હોય છે. પોતાની ફેક્ટરીઓ કરતાં વધુ સમય તો તેઓ દિલ્હીમાં લાઇસન્સ ને અલગ-અલગ મંજૂરી મેળવવા માટે દબાણ ઊભું કરતા હોય છે. અલબત્ત, પટેલ સરકારી અધિકારીઓને મળતા પણ નહોતા.' વૉલ સ્ટ્રીટ જર્નલની આ વાત થોડામાં ઘણું જ કહી જાય છે. નિરમાને પછાડવા હિન્દુસ્તાન લીવરનું હીન કૃત્યનાનકડી નિરમાએ હિન્દુસ્તાન લીવરને પીછેહઠ આપી તે વાત તે મલ્ટિનેશનલ કંપની પચાવી શકી નહીં. તેણે નિરમા વિરુદ્ધ અલગ જ રીતે લડવાનું નક્કી કર્યું. હિન્દુસ્તાન લીવરે મુંબઈમાં એક સર્વે હાથ ધર્યો. તેણે પોતાના કર્મચારીઓને ફોર્મ લઈને ઘેર-ઘેર મોકલ્યા અને ત્યાં ફોર્મ ભરાઈ જાય તો ગ્રાહકોને પૈસા વગર નિરમા પાઉડર આપતા. આ ઉપરાંત નિરમા વિરુદ્ધ અલગ-અલગ પત્રિકાઓ વહેંચવામાં આવી. આની સીધી અસર નિરમાના વેચાણ પર થઈ. જોકે, કરસનભાઈને કંઈક ખોટું થયાનું ધ્યાને આવતાં જ તેમણે તપાસ હાથ ધરાવી ને તેમાં હરીફ કંપનીના ગોડાઉનમાંથી નિરમા પાઉડર ને પત્રિકાઓ ને બધું મળી આવ્યું. કરસનભાઈએ ફરિયાદ કરી ને કોર્ટમાં કેસ ચાલ્યો પણ હરીફ કંપનીએ સમાધાન કરવાનું કહેતાં અંતે કેસ પાછો લેવામાં આવ્યો. 1986માં નિરમા સાબુ માર્કેટમાં મૂકવામાં આવ્યોનિરમા પાઉડર ગ્રાહકોમાં ખાસ્સો લોકપ્રિય થઈ ગયો હતો. હવે કરસનભાઈએ કપડાં ધોવાનો સાબુ બનાવવાનું નક્કી કર્યું. આ વખતે પણ હિન્દુસ્તાન લીવરના રિન સાબુ સામે ટક્કર હતી. જોકે, કરસનભાઈને પોતાની પ્રોડક્ટ પર ભરપૂર વિશ્વાસ હતો. રિન સાબુ વાદળી રંગનો હતો અને નિરમા સાબુ સફેદ રંગનો હતો. તેમણે જાહેરાત પાઉડરની ધૂન પર જ ‘નિરમા ડિટર્જન્ટ ટીકિયા’ ટેગલાઇન સાથે બનાવી. આ વખતે ટીવી જાહેરાત કંઈક હટકે હતી. જાહેરાત એવી હતી કે બે સાબુ હોય, જેમાં સફેદ સાબુ નિરમાનો હોય અને વાદળી સાબુ હોય આ સાબુને કોઈ બ્રાન્ડ કે નામ આપવામાં આવ્યું નહોતું, પરંતુ સમજદાર વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ સાબુ રિન જ છે. સાબુ કપડાં પર ઘસ્યા બાદ જાહેરાતમાં ગૃહિણી સમક્ષ બે સાબુ મૂકવામાં આવે, ગૃહિણી વારાફરતી બંને સાબુ પર આંગળી ફેરવે, નિરમા સાબુ એમનો એમ જ રહે ને વાદળી સાબુ એકદમ પીગળી ગયો હોય તેવો બતાવવામાં આવે. આ જાહેરાત ગ્રાહકોને ક્લિક કરી ગઈ અને એક જ વર્ષમાં એક લાખ ટન સાબુનું વેચાણ થયું. 1990માં નિરમા સુપર ડિટર્જન્ટ આવ્યો. એ જ વર્ષે નિરમા બ્યૂટી સોપ આવ્યો. નિરમા બ્યૂટી સોપની સીધી ટક્કર ‘લક્સ’ તથા ‘લાઇફબોય’ સાથે હતી. જોકે, નિરમા પોતાની ક્વોલિટીને કારણે હંમેશાં ગ્રાહકોની વચ્ચે પોતાનું સ્થાન જમાવી દેતી. 1994માં નિરમાનો IPO આવ્યો1994 સુધી નિરમા માત્ર કૌટુંબિક સભ્યોથી ચાલતી હતી. 1994માં નિરમાએ શૅરમાર્કેટમાં એન્ટ્રી લીધી. 44,7 કરોડ મૂડીના 85 લાખ શૅરનો IPO બહાર પાડવામાં આવ્યો. આ શેર પ્રીમિયમ સાથે આપવામાં આવ્યો. 1997માં નિરમાએ લીવરના ‘બ્રીઝ’ સાબુની સામે ‘નીમા’ સાબુ મૂક્યો. 2000માં ‘નિરમા શુદ્ધ’ નામથી મીઠું માર્કેટમાં આવ્યું. કાચા માલનું પણ કરસનભાઈએ જાતે ઉત્પાદન કર્યુંકરસનભાઈએ ડિટર્જન્ટ બનાવવાનું મહત્ત્વનું કેમિકલ એલ.એ.બી એટલે કે લિનીયર આલ્કીલ બેન્ઝીન, સલ્ફ્યુરિક એસિડ, આલ્ફા ઓલિફીન સલ્ફોનેટ, ફેટી એસિડ, ગ્લિસરીન, સિંગલ સુપર ફોસ્ફેટ, એન પેરાફીન, સોડા એશ પણ જાતે જ ઉત્પાદિત કર્યાં. સામાજિક ક્ષેત્રે પણ નિરમાનું નામ1994માં કરસનભાઈએ નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરી. અમદાવાદમાં નિરમા સ્કૂલ ને નિરમા યુનિવર્સિટી શરૂ કરવામાં આવી. નિરમા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ, ટેક્નોલોજી, ફાર્માસ્યુટીકલ, લૉ, કોમર્સ, આર્કિટેક્ટ, ડિપ્લોમા જેવા વિવિધ કોર્સ ચાલે છે. નિરમા મેમોરિયલ ટ્રસ્ટ હેઠળ વંચિત મહિલાઓની સંભાળ લેવામાં આવે છે. હિન્દુસ્તાન લીવરના ચેરમેન કે. બી. દાદીશેઠે 1996માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'બીજાઓને જે કામ કરતાં જન્મોજન્મ લાગે તે કામ કરસનભાઈએ એક જ જન્મમાં કરી બતાવ્યું.' નિરમા ઇન્સ્ટિટ્યૂટના પદવીદાન સમારંભમાં કે. બી. દાદીશેઠે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘અમદાવાદ પાસે તેનો આગવો હીરો છે. ભારતમાં મૂલ્ય આધારિત ડિટર્જન્ટનું વિશાળ માર્કેટ કરસનભાઈની દીર્ઘદૃષ્ટિને કારણે ખૂલ્યું. અન્ય લોકો જે જોઈ ના શક્યા તે તેમણે જોયું અને પછી કલ્પના ને દૃષ્ટિની જબરજસ્ત સફળતાનો પરિચય થતો ગયો. સલામ, કરસનભાઈ, આ મહાન સિદ્ધિ બદલ.’ અલગ-અલગ બિઝનેસડિટર્જન્ટ ઉપરાંત, નિરમા ગ્રૂપ ઓફ કંપનીઓ સાબુ, સોડા એશ, સિમેન્ટ અને અન્ય ઉત્પાદનોના વ્યવસાયમાં છે. 2016માં નિરમાએ ‘લાફાર્જ ઇન્ડિયા’ને $1.4 બિલિયનમાં ખરીદી. મે 2020માં કંપનીએ સિમેન્ટ વ્યવસાયને વિસ્તૃત કરવા પોતાની પેટાકંપની ‘નુવોકો વિસ્ટાસ’ના માધ્યમથી $770 મિલિયનમાં ‘ઇમામી સિમેન્ટ’ કંપની લીધી. નિરમા ગ્રૂપ ફાર્મા સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે. આ સ્ટ્રેટેજીના ભાગરૂપે કંપનીએ બેંગલુરુની ‘સ્ટેરિકોન ફાર્મા’ ખરીદી હતી. 2023માં નિરમા ગ્રૂપે ‘ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ’ની સબસિડિયરી કંપની ‘ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ’ની 75% ભાગીદારી 5,651 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આજે બીજી પેઢી નિરમાને સંભાળી રહી છેનિરમા કંપની લાઇમલાઇટથી ઘણી દૂર રહે છે. કરસનભાઈના બંને પુત્રો રાકેશભાઈ તથા હીરેનભાઈ આજે નિરમા કંપનીમાં મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. રાકેશભાઈએ માર્કેટિંગમાં MBA કર્યું છે. હાલમાં તેઓ કંપનીના પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક્સ તથા HR સંભાળી રહ્યા છે. તેઓ 1997થી નિરમા ગ્રૂપ સાથે જોડાયેલા છે. નિરમા યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્ય ઉપરાંત નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજિંગ કમિટીના મેમ્બર પણ છે. હીરેનભાઈએ અમેરિકાની સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ અમેરિકાની જ ડ્રેક્સેલ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે. તેઓ 1997થી નિરમા ગ્રૂપ સાથે સંકળાયેલા છે. તેઓ ગ્રાહક એક્સપિયરન્સ, કેમિકલ્સ, સિમેન્ટ, ફાર્મા તથા હેલ્થકેર ઇન્ડસ્ટ્રીનું કામ જોઈ રહ્યા છે તેઓ નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તથા નિરમા વિદ્યાવિહાર તથા નિરમા યુનિવર્સિટીની ગવર્નિંગ બોર્ડના મેમ્બર છે. જમાઈ કલ્પેશભાઈની વાત કરીએ તો, તેઓ નિરમાના પ્રોજેક્ટ્સને લગતી બાબતો સંભાળે છે. રેફરન્સ બુકઃએકલવીર ઉત્પાદકથી અનોખા ઉદ્યોગપતિ બનવા સુધીની સફરઃ કરસનભાઈ પટેલ (‘લક્ષાધિપતિ’ના ચોથા એપિસોડમાં વાંચો, કેવી રીતે સ્કૂટર ને સાયકલ પર સાડી વેચતા ગૌતમ અદાણી દેશના બીજા સૌથી ધનિક અમીર બન્યા, ગૌતમ અદાણીને કેટલાં ભાઈ-બહેનો છે ને તેઓ શું કરે છે…)

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:00 am

સિટી એન્કર:હાઇવે પર 200થી વધુ અકસ્માતોમાં વડોદરાના 3 યુવકોએ ઘાયલોને તાત્કાલિક સારવાર અપાવીને જીવ બચાવ્યો, ત્રણેયનું સન્માન કરાયું

હાઇવે પર અકસ્માત થાય ત્યારે પૂરઝડપે દોડતાં સેંકડો વાહનો વચ્ચે ઘણીવાર ઘાયલો જાણે-અજાણે રસ્તાની એક તરફ કે ઊંડા ખાડામાં લોહીલુહાણ હાલતમાં પડ્યા રહે છે. ઘણા કિસ્સાઓમાં લોકો તેમને જોતા હોય છે પણ આંખ આડા કાન કરીને નીકળી જતા હોય છે. બીજી તરફ વડોદરાની આસપાસનાં ગામોમાં રહેતા 3 યુવાનો આવા અકસ્માત થાય ત્યારે તુરંત ત્યાં પહોંચે છે, સાથે ઘાયલોને સારવાર મળે ત્યાં સુધી ખડેપગે રહે છે. શહેરની આસપાસના હાઇવે પર અકસ્માતોમાં 200થી વધુને સારવાર અપાવી ચૂકેલા 3 યુવાઓને એક કાર્યક્રમમાં લાઇફ લાઇન ફાઉન્ડેશને સન્માનિત કર્યા હતા. કેલનપુર પાસે સળિયા નીચે દબાયેલા ડ્રાઇવરને હોસ્પિટલમાં પહોંચાડ્યોહું 20 વર્ષથી હાઇવે પરના ઘાયલોને મદદ કરું છું. કેલનપુર પાસે એકવાર ટ્રકનો અકસ્માત થતાં સળિયા નીચે ડ્રાઇવર ફસાયો હતો. ત્યારે તંત્રને ફોન કરી જાણ કરી અને તેને સધિયારો આપતો રહ્યો. હું દર વર્ષે 6થી 10 લોકોને મદદ કરું છું. > પ્રતાપભાઇ વાઘેલા, કેલનપુર કરજણ પાસે ખાડામાં પડેલા ટેમ્પો ચાલકને કાઢીને સારવાર અપાવીદોઢ વર્ષ પહેલાં ટેમ્પો કરજણ પાસે ખાડામાં ઊતરી ગયો હતો. હું તુરંત બાઇક પરથી નીચે ઊતર્યો. ત્રીસેક વર્ષના ડ્રાઇવરને બહાર કાઢી પીઠ પર ગોઠવી ખાડામાંથી રસ્તા પર લાવ્યો. 4 વર્ષથી રોજ રાત્રે અકસ્માત થાય તો મદદ કરવા પહોંચી જાઉં છું. > જુનેદ સૈયદ, પોર ​​​​​​​સાધલી પાસે યુવકનો પગ કપાયો હતો,108 આવતાં સુધી સાથે રહ્યોસાધલી પાસે ફોર વ્હીલર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લઇ લીધો. આ અકસ્માતમાં તેમનો પગ કપાઇ ચૂક્યો હતો. મેં 108ને ફોન કર્યો અને જ્યાં સુધી ન આવી ત્યાં સુધી તેમની સાથે રહ્યો. છેલ્લાં 3 વર્ષથી આ પ્રકારની લોકોને મદદ કરું છું. > લક્ષ્ય પટેલ, સાધલી​​​​​​​

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:57 am

જંગલની જોગણ બની કંગનાએ ગીર ગજાવ્યું:અમેરિકાના ઝંડાવાળું જેકેટ પહેરી દેશભક્તિની પોસ્ટ મુકી; ફાઈનલી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:55 am

ભાસ્કર ઈનસાઈડ:સયાજીગંજમાં મેદાનમાં કચરામાં આગ નજીકમાં પાર્ક કરેલી બે કાર બળી ગઈ

સયાજીગંજમાં મેદાનમાં કચરામાં મંગળવારે બપોરે 12-30ના સુમારે આગ લાગી હતી, જેની ઝપટમાં આવતાં એક્સયુવી સહિત 2 કાર આગમાં નાશ પામી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગ ફેલાતાં કાર સુધી આવી હતી. ફાયરબ્રિગેડે કચરાના ઢગલાની અને કારની આગ બુઝાવી દીધી હતી. સયાજીગંજના અનંત એપાર્ટમેન્ટની પાસે મેદાનના કચરામાં અને ગાડીઓમાં આગ લાગી છે, તેવો કોલ ફાયર વિભાગને આવતાં બદામડીબાગ ફાયરબ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો હતો. આગને પગલે ધુમાડો છવાઇ ગયો હતો સાથે બે કાર ભડભડ સળગી હતી. આગ વધુ ન ફેલાય તે માટે કેટલીક કાર ત્યાંથી હટાવી લેવાઇ હતી. બંને કાર નવી હોવાનું જાણવા મળે છે. કચરો ક્યાંથી ઠલવાય છે,હોટેલ અને લારીઓ કે દુકાનોમાંથી?આગ બાદ સ્થાનિકોએ મેદાનમાં નખાતા કચરા વિશે ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોએ કહ્યું કે, કચરામાં એંઠવાડ, પ્લાસ્ટિકની કોથળી અને ફોમ, પૂઠાં જેવી ચીજો રોજેરોજ ફેંકાય છે અને ત્યાંથી કચરો ઉઠાવાતો નથી. આગ પહેલાં કચરામાં લાગી કે કારમાં, લાશ્કરો પણ અજાણઆગ પહેલાં કચરામાં લાગી કે કારમાં તે પ્રશ્નનો જવાબ ફાયરબ્રિગેડ પાસે પણ નથી. ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે, કચરા અને કાર વચ્ચે 8થી 10 ફૂટનું અંતર હતું. નોંધનીય છે કે, કાર હતી ત્યાં લોકોની પાંખી અવર-જવર છે. કચરાના ઢગલામાં આગ બાદ ફેલાઇને કાર સુધી આવી ત્યાં સુધી કોઇને જાણ ન થાય તે પણ નોંધપાત્ર બાબત છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:41 am

કાર્યવાહી:અધિકારીઓને તાકીદ, રોડના કામ વેળા સ્થળે હાજર નહિ રહો તો કાર્યવાહી થશે

પાલિકામાં મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુ. કમિશનર રોડની સ્થિતિ, માર્ગ પર મૂકાતા બેરિકેડ અને સ્વચ્છતા મુદ્દે અધિકારીઓ પર ખિજાયા હતા. ઓફિસમાં બેસી રહેતા રોડ પ્રોજેક્ટ અને ઝોનના અધિકારીઓને રોડની કામગીરી વેળાએ સ્થળ પર હાજર રહેવા સૂચના આપી છે. જો અધિકારી સ્થળ પર ગેરહાજર હશે તો કાર્યવાહી કરાશે. પાલિકામાં મંગળવારે મળેલી રિવ્યુ બેઠકમાં અરુણ મહેશ બાબુએ રોડની સ્થિતિ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની તૈયારી બતાવી હતી. મ્યુનિ. કમિશનરને સૂચના આપી હતી કે, રોડની કામગીરી સમયે રોડ પ્રોજેક્ટ અને ઝોનના અધિકારીઓની સ્થળ પર હાજરી જોઈશે. અધિકારી સ્થળ પર નહીં જાય તો તેમની સામે કાર્યવાહી કરાશે. અધિકારીઓએ ઓફિસમાં બેસી રહેવાને બદલે સ્થળ પર જવું પડશે. નોંધનીય છે કે, ચોમાસામાં રોડ ધોવાઈ જવાથી મ્યુ. કમિશનરની સૂચના બાદ કોન્ટ્રાક્ટરોને 40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણની તૈયારી શરૂ કરી છે. બેઠકમાં સ્વચ્છતા અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં વોર્ડમાં સ્વચ્છતાની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરને સોંપાશે. જ્યારે વોર્ડ ઓફિસરે સુપરવિઝન કરવાનું રહેશે. પાણી-ડ્રેનેજના કામ બાદ રોડ પર મૂકેલાં બોર્ડ હટાવોરિવ્યુ બેઠકમાં મ્યુ. કમિશનરે પાણી-ડ્રેનેજની કામગીરી બાદ રોડ પર મહિનાઓ સુધી પડી રહેતાં વર્ક ઇન પ્રોગ્રેસનાં બોર્ડ તાત્કાલિક હટાવવા સૂચના આપી હતી. તેઓએ કહ્યું કે, કામ પૂરું થયા બાદ તાત્કાલિક રોડ બની જાય અને લોકોને પરેશાની ન થાય તે રીતે કામ કરવું જોઈએ. રોડ પર અનેક જગ્યાએ મહિનાઓ સુધી બોર્ડ મૂકી રાખવામાં આવે છે, તેને તાત્કાલિક હટાવી લેવાં.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:40 am

શિયાળો જામ્યો:શહેરમાં સતત બીજા દિવસે પણ પારો 12.6 ડિગ્રી રહ્યો, કોલ્ડ વેવને પગલે રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ

શહેરમાં ઠંડીનો પારો સતત બીજા દિવસે 12.6 ડિગ્રી નોંધાયો હતો. સોમવારે સિઝનનો કોલ્ડેસ્ટ ડે 12.4 ડિગ્રી નોંધાયા બાદ મંગળવારે નજીવો 0.2 ડિગ્રીનો તફાવત થયો હતો. કોલ્ડવેવને પગલે રાતે તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. હજુ બે દિવસ શીત લહેર બાદ ઠંડીનો પારો 15 ડિગ્રી પહોંચશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડવેવથી ગુજરાતમાં શીત લહેર જોવા મળી રહી છે. શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ પારો 12.6 ડિગ્રી નોંધાયો હતો. જેને કારણે રાતે અને સવારે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીને કારણે રાતે વાહન વ્યવહારમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સોસાયટી-શેરીના નાકે તાપણાં સળગાવી લોકો ઠંડીની મજા માણી રહ્યા છે. સાથે મોર્નિંગ વોકર્સની સંખ્યા પણ વધી છે. શહેરમાં મંગળવારે મહત્તમ પારો 29.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 77 ટકા અને સાંજે 35 ટકા નોંધાયો હતો. પવનની ગતિ 6 કિમીની નોંધાઇ હતી. બુધવારે પારો 12 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. વહેલી સવારની શાળાઓનો સમય બદલવા ડીઇઓ રજૂઆતખાનગી શિક્ષક સંઘ દ્વારા સવારે 7 વાગ્યે શરૂ થતી શાળાનો સમય મોડો કરવા ડીઇઓને રજૂઆત કરાઇ છે. જ્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિએ વિદ્યાર્થી કોઇ પણ કલરનાં સ્વેટર-જેકેટ પહેરી શકે તે માટે પરિપત્ર કરવા સૂચના આપી છે. આગામી 22મીથી ઠંડીનું પ્રમાણ ઘટાશેહાલમાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે, જે હજુ બે દિવસ સુધી રહેશે. જોકે 22 નવેમ્બરથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે, જેને પગલે ભેજવાળું વાતાવરણ સર્જાશે અને ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ઠંડીનો પારો 22મી તારીખ પછી 15 થી 16 ડિગ્રી સુધી પહોંચશે, જેને પગલે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને દિવસના સમયે હૂંફાળું વાતાવરણ સર્જાશે. રાજસ્થાનમાં પૂર્વ બાજુ પર કોલ્ડવેવ હટી રહ્યો હોવાથી ધીમે ધીમે ઠંડીમાં પણ ઘટાડો શરૂ થઇ જશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:39 am

આર્થિક વિકાસનો પથ:શહેરના માર્ગોનું ભારણ ઘટાડવા 4 લોજિસ્ટિક પાર્ક બનાવાશે ભારદારી વાહનો પ્રવેશતાં અટકશે, ત્રી સ્તરીય પ્લાનને મંજૂરી

શહેરમાં દિવસે દિવસે વધી રહેલા ટ્રાફિકનું ભારણ ઘટાડવા સિટી લોજિસ્ટિકસ પાર્ક બનાવાશે. 3 લેયરમાં 16 સ્થળે લોજિસ્ટિક્સ પાર્ક કમ ટ્રાન્સપોર્ટ નગર, અર્બન લેવલ કોન્સોલિડેશન - ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ અને માઇક્રો ડિલિવરી હબ્સ બનાવાશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ 2021ને મંજૂરી અપાઈ હતી. જેમાં એનએચએઆઇ, માર્ગ અને મકાન વિભાગ, પાલિકા અને વુડા દ્વારા લોજિસ્ટિક્સના નેટવર્કને વિસ્તૃત અને મજબૂત બનાવવા 120 મીટર આઉટર રિંગ રોડ, 90 મીટર પહોળાઈ ધરાવતા રેડિયલ રિંગ રોડ અને 75 મીટર પહોળાઈ ધરાવતા ઈનર રિંગ રોડ 3775 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરાયું છે. લોજિસ્ટિક એક્શન પ્લાનમાં 3 લેયરમાં કામ થશે. જેમાં 4 સ્થળે 80 કરોડના ખર્ચે લોજિસ્ટિક્સ પાર્ક કમ ટ્રાન્સપોર્ટ નગર બનાવશે. બીજા સ્તરમાં 4 સ્થળે 80 કરોડના ખર્ચે અર્બન લેવલ કોન્સોલિડેશન-ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર બનાવાશે. ત્રીજા સ્તરમાં 12 સ્થળે 24 કરોડના ખર્ચે માઇક્રો ડિલિવરી હબ બનાવાશે. શહેરની ફરતે 4 લોજિસ્ટિક પાર્ક બનશેરાજ્ય બહારથી આવતા માલ-સામાનને શહેર પાસે નંદેસરી, કોટાલી, કેલનપુર અને આલમગીર પાસે બનાવેલા લોજિસ્ટિક્સ પાર્ક-ટ્રાન્સપોર્ટ નગરમાં રખાશે. ત્યાંથી 4 અર્બન લેવલ કોન્સોલિડેશન-ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરમાં મોકલાશે, 4 અર્બન લેવલેશન ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર્સ​​​​​​​ } આદર્શ નગર પાસે } શંકરપુરા પાસે } પાદરા નજીક } વેમાલી પાસે લોજિસ્ટિક્સ પાર્કમાંથી આવેલા સામાનને નાનાં વાહનો દ્વારા શહેરની અંદર માઇક્રો ડિલિવરી હબ ખાતે મોકલાશે. જ્યાંથી વિવિધ વિસ્તારો અને શહેરની આસપાસના સ્થળે સામાન પહોંચાડાશે. શહેરની અંદર મકરપુરા સહિત 8 ટ્રક પાર્કિંગ (માઈક્રો ડિલિવરી હબ) બનાવાશે } જીએસએફસી } આમોદર } ભાયલી } પાદરા નજીક } જાંબુવા નજીક } મકરપુરા } નંદેસરી } રણોલી લોજિસ્ટિક સુવિધા વધારવા શહેરના બાહ્ય વિસ્તારોમાં 12 જગ્યાએ 12 કરોડના ખર્ચે ટ્રક પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. તદુપરાંત 21 કરોડના ખર્ચે 21 જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ બનાવાશે. સાથે સામાનની હેરફેરને સહાયક સુવિધાઓ પણ ઊભી કરવાનું આયોજન છે. જેને કારણે માર્ગ પરનું ભારણ ઘટશે. લોજિસ્ટિક ખર્ચ અને પરિવહન ખર્ચ પણ ઘટાડી શકાશે.આઉટર અને ઇનર રિંગ રોડને પહોળા કરાશેપાલિકા દ્વારા 2021ના જુલાઈમાં સિટી લેવલ લોજિસ્ટિક્સ કમિટીની રચના કરી હતી.રાજ્ય સરકારની નીતિ મુજબ સિટી લોજિસ્ટિક્સ પ્લાન તૈયાર કર્યો હતો, જેને કમિટીએ મંજૂર કર્યો છે. પ્લાન મુજબ ભવિષ્યની જરૂરને પહોંચી વળવા તથા લોજિસ્ટિક્સ સુવિધાના નેટવર્કને વિસ્તૃત અને મજબૂત કરવા ત્રી સ્તરીય ફ્રેમવર્ક બનાવાયું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:18 am

કાર્યવાહી:વાંકાનેર, શામળાજી પાસેથી 10.61 લાખનો દારૂ પકડાયો

અરવલ્લી એલસીબીએ માલપુર તાલુકાના વાંકાનેર અને શામળાજી નજીકથી કુલ 10.61 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. માલપુરના વાંકાનેર અને શામળાજીમાંથી ગાડીમાંથી 4.40 લાખનો અને બીજી ગાડીમાંથી 3.64 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર કલ્પેશ કામજી ડામોર રહે. કાંટાળું ઇસરી પકડી લીધો છે અને કેતન અડખા ડામોર ફરાર થઇ ગયો છે. એલસીબી દ્વારા મોબાઇલ ગાડી અને દારૂ સહિત કુલ 18.14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે. બીજી બાજુ સમેરા ગામની સીમમાંથી 2.61 લાખનો વિદેશી બનાવટનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. રાકેશ સંભુ હોથા રહે. અંશોલ અને કિરપાશિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આતંકી ડો.ઉમરે કહ્યું, સુસાઇડ બોમ્બિંગ શહીદ થવાનું મિશન; VIDEO, રોહિણીએ કહ્યું- 'કિડની આપવાની વાત આવી તો દીકરો છૂમંતર', સાબરમતી જેલમાં 3 કેદીએ ISISના આતંકીને માર્યો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યના નિવેદન વિશે હતા. તેમણે કહ્યું કે જ્યારે કિડની દાન કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીકરો ભાગી ગયો હતો. બીજા મોટા સમાચાર ભાસ્કરના પ્રશ્ન પર પીકે ઉશ્કેરાઈ ગયા તેના વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો રજૂ કરશે. 2. પ્રધાનમંત્રી મોદી આંધ્રપ્રદેશમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ તમિલનાડુ જશે. કાલના મોટા સમાચારો 1. આતંકી ડો.ઉમરે કહ્યું, સુસાઇડ બોમ્બિંગ શહીદ થવાનું મિશન, VIDEO:દિલ્હી બ્લાસ્ટ પહેલાં વીડિયો બનાવ્યો; દિલ્હીમાં ડ્રોનથી હુમલા કરવાનું આતંકવાદીઓનું કાવતરું હતું 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી ડૉ. ઉમરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીએ વિસ્ફોટ પહેલાં આ વીડિયો શૂટ કર્યો હતો. એમાં તે આત્મઘાતી હુમલાની ચર્ચા કરે છે. આ વાતની પુષ્ટિ કરે છે કે તે અગાઉથી હુમલાનું આયોજન કરી રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. C:રોહિણીએ કહ્યું- 'કિડની આપવાની વાત આવી તો દીકરો છૂમંતર', જે લોકો લાલુના નામ પર કંઈક કરવા માગે છે, તેઓ જરૂરિયાતમંદોને કિડની દાન કરે લાલુ પરિવારમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રોહિણી આચાર્યએ બીજો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે બિહારના એક પત્રકારને ફોન પર કહી રહી છે કે જ્યારે કિડની દાનની વાત આવી ત્યારે તેનો દીકરો ભાગી ગયો. રોહિણી આચાર્યએ લખ્યું: જે લોકો લાલુજીના નામે કંઈક કરવા માગે છે, તેમણે ખોટી સહાનુભૂતિ બતાવવાને બદલે, લાખો ગરીબ લોકોને જેઓ હોસ્પિટલોમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને જેમને કિડનીની જરૂર છે, તેમને પોતાની કિડની દાન કરવા આગળ આવવું જોઈએ, અને લાલુજીના નામે પોતાની કિડની દાન કરવી જોઈએ. તેમણે લખ્યું, જે લોકો પરિણીત પુત્રીને તેના પિતાને કિડની દાન કરવા બદલ દોષી ઠેરવે છે, તેમણે ખુલ્લા મંચ પર તેની સાથે ખુલ્લી ચર્ચા કરવાની હિંમત એકઠી કરવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શાહે નક્કી કરી હતી નક્સલી હિડમાની ડેડલાઈન:76 CRPF જવાનની હત્યાનો માસ્ટરમાઇન્ડ અને 1 કરોડ ઈનામી નક્સલી ડેડલાઈનના 12 દિવસ પહેલાં જ માર્યો ગયો દેશના સૌથી ખતરનાક નક્સલવાદી કમાન્ડરોમાંના એક માધવી હિડમા મંગળવારે સવારે છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેની પત્ની રાજે ઉર્ફે રાજાક્કાને પણ ઠાર કરવામાં આવી. ન્યૂઝ એજન્સી ANIએ છત્તીસગઢ પોલીસને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી. એજન્સીના અહેવાલો અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે હિડમાને ખતમ કરવા માટે સુરક્ષા દળોને 30 નવેમ્બરની સમયમર્યાદા આપી હતી. ત્યાર બાદ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ પર સ્થિત પુલ્લાગંડીનાં ગાઢ જંગલોમાં સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સમયમર્યાદાના 12 દિવસ પહેલાં આ ઓપરેશનમાં હિડમા માર્યો ગયો હતો. હિડમા છેલ્લા બે દાયકામાં 26થી વધુ મોટા નક્સલી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે. આમાં 2010માં દાંતેવાડા હુમલો પણ સામેલ છે, જેમાં 76 CRPF સૈનિક શહીદ થયા હતા. તેણે 2013માં ઝીરામ ખીણમાં હુમલો અને 2021માં સુકમા-બીજાપુર હુમલામાં પણ ભૂમિકા ભજવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રિઝલ્ટમાં છેલ્લેથી ફર્સ્ટ આવ્યા, ભાસ્કરના સવાલ પર ભડક્યા:પીકે બોલ્યા, કોઈ ગુનો નથી કર્યો, મેં બિહાર બદલવાની વાત કરી, તમે તો મારું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છો, વાતને આટલી ના પકડો બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ મંગળવારે પ્રશાંત કિશોરે પહેલી પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે હારની જવાબદારી લીધી, માફી માગી અને એક દિવસના મૌન ઉપવાસની જાહેરાત કરી. પ્રેસ-કોન્ફરન્સમાં ભાસ્કરના સવાલથી પીકે શરૂઆતમાં ચિડાઈ ગયા. તેમનો અવાજ અને બોલવાની રીત બદલાઈ ગઈ. પછી તેઓ વચ્ચેથી જ ઊભા થઈ ગયા, પરંતુ પછી મીડિયા સાથે વાતચીત શરૂ કરી. હકીકતમાં પ્રચાર દરમિયાન પીકેએ દાવો કર્યો હતો કે જો JDU 25થી વધુ બેઠકો જીતશે તો તેઓ રાજકારણ છોડી દેશે. જ્યારે એક પત્રકારે તેમને આ વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો, હું કોઈ એવું પદ સંભાળી રહ્યો નથી કે હું એને છોડી શકું. તમે મારી વાતને આટલી પકડી ન રાખો. આ પછી પ્રશાંત કિશોર બાકીની પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પરેશાન દેખાયા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું 1.22 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:છેલ્લાં 3 દિવસમાં સોનામાં 4,374 રૂપિયા અને ચાંદીમાં 1,227 ઘટ્યા; ચાંદીનો કિલોનો ભાવ 1.54 લાખ રૂપિયા હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આજે 18 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનાનો ભાવ ₹1,558 ઘટીને ₹1,21,366 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉ, સોનાનો ભાવ ₹1,22,924 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹123710 છે. આ દરમિયાન ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ ₹5,188 ઘટ્યો હતો. ગુરુવાર, 13 નવેમ્બરના રોજ, સોનું ₹126,554 પર હતું. શુક્રવાર અને સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે શનિવાર અને રવિવારે બજાર બંધ હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સાબરમતી જેલમાં 3 કેદીએ ISISના આતંકીને મારમાર્યો:આંખમાં ઈજા પહોંચતા અહેમદ સૈયદને સિવિલ લઈ જવાયો, બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા ISISના 3 આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો. મારમારીના આ બનાવને લઈ જેલમાં પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી છે. કઈ બાબતે મારમારી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી છે. જેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. આબુમાં ઝીરો ડિગ્રી સાથે બર્ફીલો માહોલ; ગુજ્જુઓની ભીડ જામી:ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે, નલિયાને પાછળ છોડી સિઝનમાં દાહોદ સૌથી ઠંડું શહેર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સિઝનના સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડું શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફીલો માહોલ જામ્યો છે. જ્યાં ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. આબુમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલાં વાહનો પર બરફના થર જામી ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 25 નવેમ્બરે અયોધ્યામાં ઉત્સવ:મોદી રામ મંદિર પર અમદાવાદમાં બનેલી ધજા ફરકાવશે; ભાગવત, અમિતાભ, સચિન સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકા સાઉદી અરેબિયાને F-35 જેટ વેચશે:એક વિમાનની કિંમત ₹900 કરોડ, મિડલ ઇસ્ટમાં ફક્ત ઇઝરાયલ પાસે જ આ પ્લેન વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાજપના પ્રેમ કુમાર બિહારના સ્પીકર બની શકે છે:સરકાર બનાવવા પર પેચ ફસાયા, શાહ કાલે પટનામાં CM નીતિશ સાથે મુલાકાત કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો લાદશે:ટ્રમ્પે કહ્યું- કાયદો ઘડવામાં આવી રહ્યો છે, રશિયન ઓઈલ ખરીદનારાઓ પર 500% ટેરિફ લાગી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : કેન્દ્ર સરકાર, ED-CBI અને અનિલ અંબાણીને SCની નોટિસ:RCom છેતરપિંડીની તપાસ પર સવાલ, 3 અઠવાડિયામાં એજન્સીઓ પાસે સ્ટેટસ રિપોર્ટ માગ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : નીતિશ રેડ્ડી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે:ગિલ ટીમ સાથે ગુવાહાટી જઈ શકે; પ્રેક્ટિસ સેશનમાં 6 ખેલાડીઓએ ભાગ લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કારતક માસની અમાસ બે દિવસ રહેશે:19 નવેમ્બરે પૂર્વજો માટે ધૂપ-ધ્યાન કરો, 20 નવેમ્બરે દાન-દક્ષિણા માટે મોટો દિવસ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ડિલિવરી બોયએ 4 દિવસમાં 2 વાર કર્યા લગ્ન પ્રયાગરાજમાં, સ્વિગી ડિલિવરી બોય રાહુલે 4 દિવસમાં બે વાર લગ્ન કર્યા. તે તેની પહેલી પત્નીને શહેરમાં લઈ ગયો અને પછી ગામમાં બીજા લગ્ન કર્યા. આ બધુ એક વર્ષ સુધી ચાલુ રહ્યું. જ્યારે સત્ય બહાર આવ્યું, ત્યારે બંને પત્નીઓ પોલીસ સ્ટેશન ગઈ. પોલીસે FIR નોંધી અને આરોપીની ધરપકડ કરી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લક્ષાધિપતિ-2 : ધીરુભાઈ અંબાણીએ જૂનાગઢમાં ભજિયાંની લારી ચલાવી:મમ્મીએ ઠપકો આપતાં સીંગતેલ વેચ્યું ને કહ્યું- 'તમે ચિંતા ના કરો, હું ઢગલામોઢે રૂપિયા કમાઈશ', ત્રીજી પેઢી શું કરે છે? 2. એક જ સોસાયટીનાં પરિણીત પુરુષ અને મહિલા ગુમ થયાં:બન્નેએ પોતાની હત્યા અને આત્મહત્યા બતાવવા પ્લાનિંગ કર્યું, અફેરની શંકાએ તપાસ કરતાં મોટા ઘટસ્ફોટ થયા 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મને એમ હતું કે ક્યાંક પાકિસ્તાન મોકલી દેશે તો?':વન ડે વિથ BLO, લોકો કેવા-કેવા પ્રશ્નો લઇને જાય છે તેનું ઉદાહરણ જુઓ, ફોર્મ ભરવા માટે નોકરી પર રજા રાખી 4. ભાસ્કર એક્સપ્લેનર : જ્યારે 3000 ચીની સૈનિકનો સામનો કર્યો 120 બહાદુરોએ:એક ઈંચ પાછળ ન હટ્યા, મહિનાઓ પછી પણ પોઝિશન પર જામેલી લાશો મળી, રેઝાંગ-લા-યુદ્ધની કહાની 5. આજનું એક્સપ્લેનર:શું શેખ હસીનાને આશરો આપીને બાંગ્લાદેશ સાથે દુશ્મની લેશે ભારત; મોતની સજા પછી આગળ શું, 6 જરૂરી સવાલોના જવાબ 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘કત્લેઆમમાં મિત્રો ગુમાવ્યા-ડરમાં વીતી રાતો, હવે ન્યાય મળ્યો‘:વિદ્યાર્થી નેતા બોલ્યા, ફાંસીની સજા પણ ઓછી, હવે ભારત હસીનાને સોંપે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને યોગ્ય દિશામાં પ્રયત્નોથી ચોક્કસ સફળતા મળશે. કન્યા જાતકોને ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર...

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:00 am

અકસ્માત:મોડાસા મેઘરજ રોડ પર ઇકો ટ્રેક્ટર ટકરાતાં મહિલા ઘાયલ

મોડાસા મેઘરજના મુખ્ય માર્ગ પર રતનપુર પાટિયા નજીક બપોરના સમયે ઇકોમાં બેઠેલ મજૂર વર્ગ પીઠ (રાજસ્થાન) થી મજૂરી માટે અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે ઇકો અને ટ્રેક્ટર ટકરાતાં ઇકોમાં બેઠેલ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. દરમિયાન ઇકોની આગળની બંને એર બેગો ખૂલી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મહિલાને મેઘરજની જલારામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઇ હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:53 am

તાપમાન:20-24 નવેમ્બર સુધીમાં ઠંડી ઘટવાની શક્યતા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડીનું જોર વધ્યું છે. મોડી સાંજથી વહેલી સવારે વાતાવરણ ઠંડુગાર રહે છે. જ્યારે દિવસે હુંફાળું વાતાવરણ રહે છે. મંગળવારે ડીસા ખાતે તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા, તેણે છેલ્લા 4 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા 16 નવેમ્બર, 2021ના રોજ પણ આટલું જ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યાર બાદ વાતાવરણમાં પલટો આવતાં 20 થી 24 નવેમ્બર સુધીમાં 2 થી 3 ડિગ્રી ઠંડી ઘટી શકે છે. ઠંડી ઘટવા પાછળનું મુખ્ય કારણ 22 નવેમ્બરે બંગાળની ખાડીમાં બનનાર લો-પ્રેશર સિસ્ટમ છે. આ સિસ્ટમના કારણે પવનની દિશા બદલતાં વાતાવરણ બદલાશે. 23 થી 27 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:53 am

નિર્ણય‎:સંકલ્પના આધારિત આઈકોનિક સિટી ડેવલપમેન્ટ માટેની નવી નીતિ જાહેર

રાજ્ય મંત્રીમંડળની મંગળવારની સાપ્તાહિક બેઠકમાં અનેક મહત્વના વિભાગોને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયો શહેર વિકાસ, આવાસ, પુનર્વસન, કૌશલ્ય વિકાસ અને કાનૂની સુધારા જેવા મુદ્દાઓને સીધી અસર કરશે. બેઠકમાં રાજ્ય સરકારે સીડકો અને અન્ય વિકાસ પ્રાધિકરણોની જમીન તથા લૅન્ડ બેંકનો સુયોગ્ય ઉપયોગ થાય તેવો નિર્ણય લીધો. સંકલ્પના આધારિત આઈકોનિક સિટી ડેવલપમેન્ટ માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. આ હેઠળ સીડકો સહીત અન્ય સત્તાસંસ્થાઓને આધુનિક, એકીકૃત વસાહતો વિકસાવવાનો અધિકાર મળશે. રહેણાંક સમૂહો સાથે આંતરરાષ્ટ્રીય ધોરણના કોમર્શિયલ ઝોનના વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યોની મૂલ્યવાન લૅન્ડ બેંકનો વધુ કારગર અને સુવ્યવસ્થિત ઉપયોગ થશે. મુંબઈના ઉપનગરોમાં 20 એકર અથવા વધુ વિસ્તાર ધરાવતા મ્હાડાના આવાસ પ્રોજેક્ટ્સના પુનર્વિકાસ માટે રાજ્ય સરકારે નીતિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ નિર્ણયથી મુંબઈ અને ઉપનગરોમાં વિશાળ પ્રમાણમાં સસ્તા મકાનો ઉપલબ્ધ થવાની શક્યતા વધી છે. જૂની અને જર્જરિત વસાહતોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકસિત કરવાની પ્રક્રિયા ઝડપશે. ભૂસંપાદન, પુનર્વસન અને પુનર્સ્થાપન સંબંધિત પ્રલંબિત કેસોના ઝડપી નિકાલ માટે નવા પદોની રચનાને મંજૂરી અપાઈ. આ પગલાંથી 2013ના કાયદાના કલમ 64 મુજબ વાજબી વળતર અને પારદર્શકતાનો અધિકાર વધુ મજબૂત થશે. જમીન સંબંધિત વિવાદોના નિકાલમાં ગતિ આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

રાજકારણ:શિંદે શિવસેનાના મંત્રીઓ કેબિનેટ બેઠકમાં જ ગેરહાજર રહેતા રાજકારણમાં ગરમાવો

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂ઼ંટણીઓના માહોલ વચ્ચે આઘાડી પછી સત્તારુઢ મહાયુતિમાં પણ વિવાદ વકરી રહ્યો છે. આઘાડીમાં મહાપાલિકા ચૂ઼ંટણી સ્વબળે લડવાની કોંગ્રેસની જાહેરાત પછી અને મહાયુતિમાં ભાજપ-શિવસેના શિદે જૂથમાં એકબીજાના કાર્યકરોને પક્ષમાં પ્રવેશ આપવાના મામલે રાજકારણ ગરમાયું છે. મંગળવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ રાજ્ય મંત્રીમંડળની બેઠક સમયે શિંદે શિવસેનાના મંત્રીઓ ગેરહાજર રહેતા આ રાજકીય ખેચતાણ પ્રકાશમા આવી હતી. મ્હાડાના આવાસ પ્રોજેક્ટ્સના પુનર્વિકાસ માટેની નીતિ સહિતના અગત્યના મામલે 18 નવેમ્બરે બેઠકમાં નિર્ણય લેવાયો, પરંતુ આ મહત્વના નિર્ણય સમયે રાજકીય તણાવ જોવા મળ્યો. શાસક શિંદે શિવસેનાના મંત્રીઓએ કેબિનેટ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ આરોપ લગાવ્યો કે, ભાજપ તેના સાથી પક્ષોના પદાધિકારીઓને દૂર કરવાની નીતી અપનાવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે આ વલણ રાજકારણમાં ગરમી લાવી રહ્યું છે. સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં છ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં મ્હાડાના મોટા પ્રોજેક્ટ્સના પુનર્વિકાસનો નિર્ણય સૌથી મહત્વનો માનવામાં આવ્યો. આ નીતિ હેઠળ જૂના, બિનઅસરકારક રહેણાંક પ્રોજેક્ટ્સને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકસિત કરવાની પ્રક્રિયા ગતિમાન થશે. સરકારી દાવા મુજબ આ પગલું ઘરવિહોણા અને મધ્યમવર્ગ માટે આવાસની ઉપલબ્ધી વધારવામાં મહત્વનું યોગદાન આપશે. મંત્રીઓએ નારાજગીનો સૂર આલાપ્યો​​​​​​​માહિતી મુજબ, પૂર્વ-કેબિનેટ બેઠકમાં શિવસેનાના તમામ મંત્રીઓ હાજર હતા, પરંતુ એકનાથ શિંદે સિવાય કોઈ પણ મંત્રી બાદની કેબિનેટ બેઠકમાં પહોંચ્યો નહીં. બેઠક પૂર્ણ થયા પછી, શિંદે જૂથના મંત્રીઓ મુખ્યમંત્રી ફડણવીસને મળવા તેમના કાર્યાલયે પહોંચ્યા અને ભાજપના વર્તન અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી. મ્હાડાના આવાસના પુનર્વિકાસનો માર્ગ ખુલ્યો : મુંબઈના ઉપનગરોમાં 20 એકર અથવા તેથી વધુ એરિયા ધરાવતા મ્હાડાના આવાસ પ્રોજેક્ટ્સના પુનર્વિકાસ માટેની નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

અભિયાન:મુંબઈ પોલીસે ગેરકાયદે બાંગલાદેશી નાગરિકો પર કાર્યવાહી તીવ્ર કરી દીધી

દેશભરમાં ગેરકાયદે ઘુસણખોરો સામે ચાલી રહેલા અભિયાન વચ્ચે, મુંબઈ પોલીસે આ વર્ષે 17 નવેમ્બર સુધી કુલ 1,001 બાંગલાદેશી નાગરિકોને દેશનિકાલ કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ છ ગણા અને 2023ની સરખામણીએ 16 ગણા વધુ છે. મુંબઈ પોલીસના જાહેર કરાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી અત્યાર સુધી 401 કેસમાં દેશનિકાલની કાર્યવાહી હાથ ધરાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે, કેટલીક ઘટનાઓમાં પોલીસ એફઆઈઆર નોંધાવીને કોર્ટની મંજૂરીથી કાર્યવાહી કરે છે, જ્યારે અન્ય ઘટનાઓમાં કાયદાના વિશેષ પ્રાવધાનોનો ઉપયોગ કરીને સીધો દેશનિકાલ કરવામાં આવે છે. ગયા વર્ષે 304 ગેરકાયદે બાંગલાદેશી નાગરિકોની ધરપકડ થઈ હતી, જેમાંથી 160નો દેશનિકાલ કરવામાં આવ્યો. 2023માં 371 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 60 લોકોનો દેશનિકાલ થઈ શક્યો હતો. તુલનાત્મક રીતે આ વર્ષે કાર્યવાહી ઘણી વધારે કઠોર અને ઝડપી રહી છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હવે દેશભરના દળોએ નવી વ્યૂહરચના સ્વીકારી છે, દરેક કેસમાં એફઆઈઆર અને ટ્રાયલ ચલાવવાને બદલે સીધો દેશનિકાલ કરવાની પ્રથા વધારવામાં આવી છે. શહેરના બાંધકામ સ્થળો જેવા વિસ્તારોમાંથી મળતી માહિતીના આધારે શંકાસ્પદ લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. મુંબઈ મહાનગર વિસ્તારમાંથી પકડાયેલા લોકોને શરૂઆતમાં પુણે લઈ જવામાં આવે છે, ત્યારબાદ ખાસ ભારતીય વાયુસેનાના (આઈએએફ) વિમાન દ્વારા તેમને આસામ–બાંગલાદેશ સરહદ સુધી પહોંચાડવામાં આવે છે. ગૃહપ્રધાન અમિત શાહે દેશભરના દળોને ગેરકાયદે બાંગલાદેશી નાગરિકોના દેશનિકાલનો કઠોર નિર્દેશ આપ્યા બાદ આ કાર્યવાહી ફેબ્રુઆરીથી વધુ તીવ્ર બની. ખાસ કરીને બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર જાન્યુઆરીમાં થયેલા હુમલા બાદ, આરોપી શરિફુલ ઇસ્લામ ગેરકાયદે ભારતમાં રહેતો હોવાનું બહાર આવતાં અભિયાન વધુ તીવ્ર બન્યું.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

જાહેર પરિવહન અને પ્રવાસીઓ પર અસર:મુંબઈ મહાનગર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે સીએનજીનું સંકટ વધુ તીવ્ર બન્યુ

મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પણ સીએનજીની ગંભીર અછત સર્જાતા જાહેર પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. સવારે પીક અવર્સ દરમિયાન હજારો મુસાફરોને વાહન ન મળતાં લાંબા અંતર સુધી પગપાળા ચાલવું પડ્યું, જ્યારે ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ ઇંધણ મેળવી શક્યા નહોતા. મહાનગર ગેસ લિમિટેડનું (એમજીએલ) રિપેરીંગ કામ સોમવારે સાંજે પૂરું થઈ જતા પુરવઠો પૂર્વવત થઈ જવાની આશા હતી, પરંતુ હજુ સંપૂર્ણ કામ પુરૂ થતા વધુ એક દિવસ લાગશે, જેથી હવે મુંબઇગરાને બુધવારથી રાહત મળશે એમ જણાય છે. જો કે ગેસ પાઇપલાઇનની ખામી સંપૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી સંકટ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સંકટનું કારણ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગેઈલ)ની મુખ્ય સપ્લાય લાઇનને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ (આરસીએફ) સંકુલની અંદર થયેલું નુકસાન હોવાનું બહાર આવ્યું છે. આ ખામીના કારણે મહાનગર ગેસ (એમજીએલ)નાં વડાલા સ્થિત સિટી ગેટ સ્ટેશન (સીજીએસ) પર ગેસ પુરવઠો ઠપ થઇ જતાં સમગ્ર એમએમઆરમાં સીએનજી ઉપલબ્ધતામાં ભારે ઘટાડો થયો છે. શહેરના અનેક પંપ પર સવારથી જ ઓટો-ટેક્સી ચાલકો લાઈનમાં ઉભા રહેતા નજરે પડ્યા. કેટલાક પમ્પમાં રાતે મોડે મળેલો થોડો પુરવઠો પણ મિનિટોમાં સમાપ્ત થઈ ગયો, જે બાદ પંપની તાત્કાલિક બંધઅવસ્થામાં 100થી વધુ ચાલકો અંધારામાં રાહ જોતા રહ્યા. ચાલકોનું કહેવું છે કે પરિસ્થિતિ સોમવાર કરતાં મંગળવારે વધુ ખરાબ રહી અને સતત બે દિવસની કમાણીનો મોટો ભાગ ગુમાવવાનો વારો આવ્યો. મુસાફરો માટે સવારે ઓફિસ પહોચવું દુષ્કર બન્યું હતું. બેસ્ટ તથા ટીએમટી બસો પર મુસાફરોનો વધારાનો ભાર પડતાં અનેક રૂટ પર ભારે ભીડ જોવા મળી. થાણે રેલવે સ્ટેશનના બ્રિજ પર મુસાફરોની લાંબી કતાર લાગી હતી, જ્યારે ઘણા કર્મચારીઓએ તીન હાથ નાકા સુધી પગપાળા જવાનું પસંદ કર્યું. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ખાસ કરીને બસમાં ચઢવામાં મુશ્કેલી પડી હતી. 5 લાખથી વધુ ખાનગી CNG કારમાલિકોને અસરમંગળવારે પરિસ્થિતિ વધુ વણસી હતી કારણ કે સીએનજી પર ચાલતી બેસ્ટ બસોના કાફલામાંથી અનેક બસની ફેરી ઓછી થઈ હતી. એના કારણે શહેરની રોડ લાઈફલાઈન પણ ખરાબ થઈ હતી. આ ઉપરાંત, અનેક ઓટો અને ટેક્સીઓ ઉપલબ્ધ નથી. આ કટોકટીએ 5 લાખથી વધુ ખાનગી સીએનજી કારના માલિકોને પણ અસર કરી છે. મર્યાદિત પુરવઠાને કારણે ઇંધણનું રેશનિંગમુંબઈમાં અંદાજે 140, થાણેમાં 31 અને નવી મુંબઈમાં 34 સીએનજી પંપ છે. રવિવાર રાતથી મોટાભાગનાં પંપ પર લાંબી લાઈન, અસ્થિર પુરવઠો અથવા સંપૂર્ણ બંધ અવસ્થા જોવા મળી હતી. મર્યાદિત પુરવઠાને કારણે એમજીએલે ઇંધણનું રેશનિંગ શરૂ કર્યું, જેના પરિણામે વિલંબ અને પરિવહનમાં અવરોધ વધુ ઘેરો બન્યો. 389 સીએનજી સ્ટેશનમાંથી માત્ર 225 કાર્યરતએમજીએલએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 389 સીએનજી સ્ટેશનમાંથી માત્ર 225 કાર્યરત છે. વડાલા સીજીએસમાં સપ્લાય પૂર્વવત થયા બાદ જ પુરવઠો સામાન્ય થશે. રિપેરીંગનું કામ ચાલુ છે, અને 18 નવેમ્બર સુધીમાં સપ્લાય પુનઃસ્થાપિત થવાની શક્યતા છે, એમ કંપનીએ જણાવ્યું હતું. ઓલા અને ઉબરના ભાડામાં વધારોમુંબઈમાં તાજેતરમાં સીએનજીની અછતને કારણે ઓલા અને ઉબરના ભાડામાં તીવ્ર વધારો થયો છે. ટેક્સીઓ અને ઓટોની લાંબી કતારો ઇંધણ ભરવા માટે રાહ જોતી હોવાથી મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

ભાસ્કર એનાલિસિસ:સુરત લેબગ્રોન ડાયમંડની નેધરલેન્ડ-મેક્સિકો સહિત 14 દેશમાં ભારે માંગ, આઠ મહિનામાં નેધરલેન્ડમાં 79 કરોડથી વધુની નિકાસ

અમેરિકા, હોંગકોંગ, યુએઈ જેવા દેશોમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ ઘટ્યુ છે પરંતુ ભારતના વેપારીઓ હવે આ દેશો સિવાય અન્ય દેશોમાં માર્કેટ શોધી રહ્યાં છે. 2023-24ની સરખામણીમાં 2025-26 દરમિયાન 14 દેશોમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 200% થી લઈને 40,000% સુધીનો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને યુરોપ અને મધ્ય પૂર્વ જેવા પરંપરાગત નહીં–પણ ઝડપથી ઊભા થતાં પ્રદેશો ભારતીય લેબગ્રોન ડાયમંડ માટે નવા ડિમાન્ડ સેન્ટર બની રહ્યા છે. 2023-24ની તુલનામાં 2025-26માં મોટા ભાગના દેશોમાં વોલ્યુમ આધારિત મજબૂત વૃદ્ધિ સાથે ટકાવારીય રીતે પણ અસાધારણ જમ્પ જોવા મળ્યો છે. ખાસ કરીને નેધરલેન્ડ, મેક્સિકો, બહેરીન અને સ્વિત્ઝર્લેન્ડ જેવા બજારોમાં ધમાકેદાર વૃદ્ધિ સાથે ભારતે આંતરરાષ્ટ્રીય જ્વેલરી સપ્લાય ચેઈનમાં પોતાની હાજરી મજબૂત બનાવી છે. આ વૃદ્ધિનું સૌથી મોટું કારણ છે – સસ્તા ભાવ, સસ્ટેઈનેબલ અને એથિકલ ડાયમંડ તરીકે લેબગ્રોન ડાયમંડની વધતી લોકપ્રિયતા. અમેરિકા દ્વારા ટેરિફ નાંખવામાં આવ્યો જેને લઈને છેલ્લા એક વર્ષમાં અમેરિકાની ઓછી ડિમાન્ડ, ઇન્ટેવન્ટરી પ્રેશર અને રિટેલ સ્લો-ડાઉન વચ્ચે વચ્ચે ભારતીય એક્સપોર્ટર્સે આક્રમક રીતે નવા માર્કેટ શોધ્યા છે જેના પરિણામો હવે ડેટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. નવી એન્ટ્રી : તુર્કીયે, ચેક રિપબ્લિક અને બ્રાઝિલતુર્કિ, ચેક રિપબ્લિક અને બ્રાઝિલ જેવા દેશોમાં 2023-24માં નિકાસ શૂન્ય હોવાને કારણે આ બજારોમાં 2024-25ની નિકાસ ‘ઈન્ફિનિટી ગ્રોથ’ દર્શાવે છે. એનો અર્થ એ છે કે, ભારતે આ દેશોને લેબગ્રોન ડાયમંડ માટે પ્રથમ વખત ગંભીર રીતે માર્કેટ તરીકે ગણ્યું. બીજી તરફ નેપાલ અને ઓસ્ટ્રિયા જેવા નાના બજારોમાં પણ લેબગ્રોન ડાયમંડનો ગ્રોથ થઈ રહ્યો છે. આ નાના દેશોમાં વેલ્યુ સ્મોલ પરંતુ ગ્રોથ હાઈ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

મહિલા શક્તિ:નવસારીમાં પુરૂષની સાથે હવે મહિલા ક્રિકેટનો પણ તાજેતરમાં વધી રહ્યો છે અનેકગણો ક્રેઝ

દેશમાં જે રીતે મહિલા ક્રિકેટ વધી રહી છે તે રીતે નવસારી જિલ્લામાં પણ તેનો ક્રેઝ વધ્યો છે. સિઝન બોલની ટુર્નામેન્ટ પણ સમયાંતરે રમાવા લાગી છે. નવસારી જિલ્લામાં 15 વર્ષ અગાઉ મહિલા ક્રિકેટ ખૂબ ઓછી યા નહિવત હતી. ત્યારબાદ ટેનિસ બોલ રમવા યુવતીઓ આગળ આવી અને એકલદોકલ ટુર્નામેન્ટ, મેચ પણ રમાવા લાગી હતી પણ હવે પાંચેક વર્ષથી તો રાષ્ટ્રીય મેચોનો જેમ સિઝન બોલની ટુર્નામેન્ટ પણ જિલ્લામાં સમયાંતરે રમાવા લાગી છે. જેમાં છાપરા સ્પોર્ટ્સ ક્લબ વગેરેનો સિંહફાળો છે. છાપરા ઉપરાંત અગ્રવાલ કોલેજ, સંજય ફાર્મ, બીલીમોરા વગેરેની ટીમો પણ આગળ આવી રહી છે. છાપરામાં તો મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ અલાયદી રમાવા સાથે પુરુષ ટુર્નામેન્ટમાં પણ મહિલાને તક અપાય છે. હવે જ્યારે ભારત મહિલા ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યું છે ત્યારે ક્રેઝ વધુ વધશે તે નક્કી છે. મહિલા ક્રિકેટમાં પૈસા પણ આવતા કેરિયર તક પણ સ્પોર્ટ્સમાં મળી રહી છે. રાજ્યકક્ષાએ પણ નવસારીની ​​​​​​​ક્રિકેટરો ​​​​​​​નવસારીમાં મહિલા ક્રિકેટનો ક્રેઝ વધવા સાથે અહીંની અનેક ક્રિકેટરો રાજ્યકક્ષાએ પણ રમવા લાગી છે અને કેપ્ટન સુદ્ધાં બની છે. નવસારીની મૈત્રી મણિયાર બરોડા અંડર-15ની કેપ્ટન રહી હતી તો વૃતિ નાયક, વંશીકા પટેલ, ઇતિ પટેલ પણ બરોડા રમ્યા હતા. આ ઉપરાંત આર્યા પટેલ, જીનલ પટેલ, હેતવી પટેલ વગેરે પણ બરોડામાં રમ્યા યા રમી રહ્યાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

રજૂઆત:મનપાના વોર્ડ સીમાંકનના આખરી જાહેરનામું પ્રસિદ્ધિમાં થતો વિલંબ

નવસારી મહાપાલિકાનું વોર્ડ સીમાંકન અંગે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયાના બે મહિના થયા પણ હજુ આખરી જાહેરનામું બહાર પડ્યું નથી. નવસારીમાં 1 જાન્યુઆરી 2025 થી મહાપાલિકા અમલી બની ત્યારથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે,ચૂંટાયેલ પાંખ વહીવટમાં આવી નથી. જોકે ચૂંટણી કરવા અગાઉ વોર્ડ અને બેઠકોની સંખ્યા સાથે વોર્ડ સીમાંકનની તજવીજ શરૂ કરી દેવાઈ હતી. 15 સપ્ટેમ્બરના રોજ રાજ્ય ચૂંટણી આયોગે કુલ 13 વોર્ડના સીમાંકનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરી 10 દિવસમાં વાંધા, સૂચન રજૂ કરવા જણાવ્યું હતું. જોકે પ્રાથમિક જાહેરનામાને બે મહિના થયા હજુ આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું નથી. એવું જાણવા મળ્યું છે કે પ્રાથમિક જાહેરનામાંમાં જે સીમાંકન દર્શાવાયું હતું તેમાં રેલવે ટ્રેક નજીકનો વિસ્તાર ભૌગોલિક રીતે વોર્ડ-3માં આવે પણ ત્યાંના એક બે રહેણાંક વિસ્તાર દૂરના વોર્ડ-4માં બતાવ્યા હતા. આ બાબત રાજકીય પક્ષોએ રજૂઆત કરી હતી. આ રજૂઆત નક્કર પણ હોય સુધારાની શક્યતા છે. અગાઉ ડિસે.-જાન્યુ.માં ચૂંટણીની વાતો હતી પણ સર' ની પ્રક્રિયાને લઇ વિલંબ થવાની પણ શક્યતા ચર્ચાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

કૂતરા પકડવાની કામગીરી શરુ:સુપ્રીમ કોર્ટના આદેશથી મનપાની કૂતરા પકડવાની કામગીરી શરૂ

દેશમાં રખડતા કૂતરાઓ કરડવાથી ઘણાંનાં મોત થયાની અપીલ આવતા જ સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાઓથી લોકોને બચાવવા માટે આદેશ આપ્યો હતો. તે અંતર્ગત નવસારી મહાનગરપાલિકામાં પણ ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી શહેરના જુદા જુદા વિભાગોમાં જઈ કૂતરાઓને પકડી તેમનું ખસીકરણ કરી અમુક દિવસો બાદ છોડી મુકવાની કામગીરી પણ કરાઇ રહી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓ ઉપર અંકુશમાં લાવવા ટીમ બનાવી છેલ્લા ચાર દિવસથી રખડતા કૂતરા પકડી તેનું ખસીકરણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. નવસારી મનપા વિસ્તારમાં કૂતરા કરડતા મોટાભાગના લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. છેલ્લા દોઢ માસમાં 400થી વધુ કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. 4 દિવસથી ખસીકરણનું કાર્ય નવસારીમાં કોર્ટના આદેશને પગલે રખડતા કૂતરાઓની ખસીકરણ કરવાની કાર્યવાહી ચાર દિવસથી કરાઇ છે. જેમાં ચાર દિવસમાં 20થી વધુ કૂતરાની પકડી તેની ખસીકરણ કરી તેને અમુક દિવસ નિરીક્ષણમાં રાખી તેને છોડી મૂકાઇ રહ્યાંની કામગીરી કરાઇ પણ હાલમાં કરોડોના પ્રોજેક્ટ મનપા વિસ્તારમાં ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવું કે કૂતરાઓને પકડવા તેના ઉપર અધિકારીઓ નારાજગી વ્યક્ત કરી હતી. કૂતરા કરડે તો શું કરવુંડોક્ટરની સલાહ પહેલા ગભરાશો નહીં. શાંત રહો ક્યાં સારવાર મળે છે ત્યાં જવો, કરડેલા ઘાને વહેતા સાબુ અને પાણી વડે ઓછામાં ઓછા 10થી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ નાંખો. આનાથી ઘામાંથી જંતુઓ અને વાયરસ દૂર થવામાં મદદ મળે છે. ઘા પર કોઈ પણ એન્ટિસેપ્ટિક લોશન, જેમ કે પોવિડોન-આયોડિન લગાવી શકાય છે. ઘા પર તરત જ પાટો બાંધશો નહીં, ખાસ કરીને જો ઘા ઊંડો હોય. ઘાને ખુલ્લો રાખવાથી બેક્ટેરિયા ફસાઈ જવાની શક્યતા ઘટે છે. પ્રાથમિક સારવાર પછી, તમારે તરત જ ડોક્ટર અથવા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

પુસ્તક પ્રદર્શન:આજના ડિજીટલ યુગમાં પુસ્તકો પાસે જઇશું તો મન અને બુદ્ધિનો વિકાસ કરી શકીશું : ડો.પસ્તાગીયા

નવસારી કૃષિ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં 18 અને 19 એમ બે દિવસીય યુનિવર્સિટી લાઈબ્રેરીમાં ઉપલબ્ધ એવા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કાર્યને ઉપયોગી થાય તેવા દુર્લભ વધુ વંચાતા અને ખુબ મહત્વના 3500 પુસ્તકોનું પુસ્તક પ્રદર્શન યોજાયું છે. જેમાં બન્ને દિવસોમાં હજારોની સંખ્યામાં અધ્યાપકગણો વિદ્યાર્થીગણો આ પુસ્તક પ્રદર્શનનો લાભ ઉઠાવશે એવી આશા વ્યક્ય કરાઇ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલના સ્વપ્નદ્રષ્ટાથી ઘણા નવા પ્રોજેક્ટી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સાકારીત થયેલા જોવા મળે છે. ડો. ઝેડ.પી. પટેલના નવસારી કૃષિ યુનિવર્સિટીની દૃષ્ટિએ ગ્રંથાલયમાં ઉપલબ્ધ પુસ્તકો, જર્નલ્સ, રીપોર્ટસ, થીસીસ જેવાં માહિતીસ્ત્રોતોની ઉપયોગ વધુમાં વધુ કરે અને તેઓની વાંચનવૃતિ વધે તો જ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણમાં ગુણવત્તા આવી શકે, જેના ભાગરૂપે યુનિવર્સિટી લાયબ્રેરી દ્વારા અધ્યાપકગણો, વિદ્યાર્થીગણો અને અન્ય બિનશૈક્ષણિક કર્મચારીગણોમાં વાચનવૃત્તિ વધે, પુસ્તકો સાથે વધુ સમય વિતાવે તેવા શુભ આશયથી નેશનલ લાયબ્રેરી વીકના અવસર ઉપર પુસ્તક પ્રદર્શન યોજાયું છે. પુસ્તક પ્રદર્શનનું ઉદઘાટન સહ સંશોધન નિયામક ડો. લલિત મહાત્મા અને ડો. કે.જી. પટેલ, આચાર્ય ન.મ. કૃષિ મહાવિદ્યાલયના પ્રતિનિધિ દ્વારા કરાયું હતું. ડો. લલિત મહાત્મા અને ડૉ. કે.જી. પટેલે ઉપસ્થિત ગ્રંથાલયના ઉપભોકતાગણોને શિક્ષણ અને જીવનમાં વાંચનનું મહત્વ બતાવી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. રિતેશ બોરીચાંગર, આચાર્યશ્રી, મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય ડૉ. જે.જે.પસ્તાગીયા, આચાર્ય અને ડીન, અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તકો આપણા મિત્રો છે, આજના ડિજિટલ યુગમાં પુસ્તકો પાસે જઈશું તો મન અને બુદ્ધિનો વિકાસ કરી શકીશું. વાંચન એ મનનો ખોરાક છે, તેથી વાંચનવૃતિ વધે તેવા આપણે પ્રયત્ન કરવા જોઈએ તેવો નિર્દેશ કરાયો હતો. સમગ્ર નેશનલ લાઈબ્રેરી વીકના કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટી ગ્રંથપાલ ડો. કેલાસ ટંડેલ દ્વારા કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

સન્માન:નવસારીના મૌલવીનું અભ્યાસ ક્ષેત્રે યોગદાન બદલ ઉત્તર પ્રદેશમાં

યુપીના ખાનકાહ-એ- બરકાતિયા મરહેરા શરીફ તરફથી પ્રતિષ્ઠિત સન્માન નિશાન- એ-તાજ-ઉલ-ઉલા મા’થી હઝરત અલ્લામા ગુલામ મુસ્તફા કાદરી બરકાતી સાહેબ કિબલા નવસારીને તેમના શિક્ષણ ક્ષેત્રે કરેલ કામગીરીને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. દારુલ ઉલૂમ અનવર-એ- રેઝા નવસારીના સ્થાપક સભ્ય અલ્લામા ગુલામ મુસ્તફા કાદરી બરકાતીને તેમની શૈક્ષણિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓના સન્માનમાં માટે ખાનકાહ-એ- બરકાતિયા મરહેરા શરીફ તરફથી પ્રતિષ્ઠિત નિશાન-એ- તાજ-ઉલ-ઉલા મા થી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાનકાહ-એ- બરકાતિયાના સજ્જાદનશીન પ્રોફેસર ડૉ. સૈયદ મુહમ્મદ અમીન મિયાં કાદરી બરકાતી, સૈયદ મુહમ્મદ અશરફ કાદરી (પ્રખ્યાત સાહિત્યકાર) અને સૈયદ નજીબ હૈદર મિયાં નૂરી દ્વારા પ્રશંસા પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાનકાહએ બરકતિયા તરફથી અલ્લામા ગુલામ મુસ્તફાનું સન્માનીત થવું તે દારૂલ ઉલુમ અનવારે રઝા નવસારી તેમજ તેમના સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સ્ટાફ સહિત સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ માટે ગર્વની વાત છે. નવસારીમાં છાત્ર અને છાત્રા ઓ માટે અલગ અલગ શાળા ખોલી અલ્લામા ગુલામ મુસ્તફા કાદરી બરકાતી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને દારૂલ ઉલુમ અનવારે રઝા નવસારીની એક ભાડાના મકાનથી સ્થાપના કરી તેને આજે છોકરા-છોકરીઓના જુદા જુદા બે દારૂલ ઉલુમ સુધી પહોંચાડી ત્યાં હાલમાં અંદાજીત 600થી વધુ બાળકોને દિની તાલીમ આપવાના આવે છે. ધોરણ-12 સાયન્સ સુધીની અંગ્રેજી માધ્યમની એક ઇંગ્લીશ સ્કૂલમાં અંદાજિત 1200 બાળકો દુન્યવી શિક્ષણ આપી શિક્ષિત કરવામાં આવી રહ્યાં છે. પોતાનું આખું જીવન માત્ર શિક્ષાની સેવામાં સમર્પિત કરી દીધું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સ્થાનિક શાકભાજીનો પાક નિષ્ફળ જતા અમરેલીમાં રીંગણા, ગુવાર, તુરીયા, ભીંડો અને ચોળી 100ને પાર

અમરેલીમાં શાકભાજીના ભાવ અત્યારે સાતમા આસમાને પહોંચી ગયા છે. ગુવાર અને રીંગણા તો રૂપિયા 100ને પાર કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. અમરેલીના શાકમાર્કેટમાં શાકભાજીની માર્કેટ ઊંચકાતા અહીં વધુ ભાવના કારણે માર્કેટમાં ખરીદી પણ ઓછી જોવા મળે છે. લોકો જોઈએ તેટલું જ શાકભાજી ખરીદી રહ્યા છે. કેટલાક ગ્રાહકો તો શાકભાજીના ભાવ પુછીને જ જતા રહે છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અહીં 2 થી 10 ઈંચ વરસાદે તો અમરેલી જિલ્લામાં ખેતી ક્ષેત્રે ખાના ખરાબી સર્જી છે. જેમાં શાકભાજીના પાક પણ નીષ્ફળ નીવડ્યો છે. કમોસમી વરસાદની અસર અત્યારે શાકભાજીના ભાવ પર જોવા મળે છે. કમોસમી વરસાદના કારણે પાક નીષ્ફળ નીવડતા સ્થાનિક શાકભાજીની આવક નહીવત જોવા મળે છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા બહારના જિલ્લામાંથી શાકભાજી આવી રહ્યું છે જેથી અમરેલીની શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે. જેના કારણે ખરીદી પણ ઘટી છે. તો ભાવ વધતા અમરેલી લોકોમાં કચવાટ જોવા મળે છે. આ ઉપરાંત છુટક ફેરી કરતા લારીવાળા પર પહેલા કરતા શાકભાજીની ખરીદી ઓછી કરી રહ્યા છે. અમરેલીની બજારમાં શાકભાજીના ભાવમાં વધારો થતા લોકોના ખીસ્સા પર માર પડી રહ્યો છે. હજુ શાકભાજીના ભાવની સ્થિતિ સુધરતા એકાદ માસ જેટલો સમય લાગશે. રોજ 30 ગાડીની સામે 20 ગાડી જ દરરોજ શાકભાજી આવી રહ્યું છેઅગાઉ શાકમાર્કેટમાં દરરોજ 25 થી 30 ગાડી શાકભાજી આવી રહ્યું હતું. પરંતુ અત્યારે દરરોજ 20 ગાડી શાકભાજી આવી રહ્યું છે. સ્થાનિકમાં અત્યારે મોરજર પંથકનું શાકભાજી આવી રહ્યું છે. પણ અન્ય વિસ્તારમાંથી શાકભાજી આવતુ બંધ થયું છે. > હમીદભાઈ રફાઈઁ, અમરેલીમાં શાકભાજીના હોલસેલર

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

ફરિયાદ:બાબરામાં ચોખા, બાજરીનો જથ્થો મળી આવવાના મુદ્દે 2 શખ્સ સામે ફોજદારી રાવ

બાબરામાં જીઆઈડીસી વિસ્તારમાંથી 8 માસ પૂર્વે ગોડાઉનમાંથી મળેલા સરકારી ચોખા, બાજરી અને આઈસીડીએસ યોજનાના પેકેટ મુદ્દે ગોડાઉન માલિક સહિત બે શખ્સો સામે મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બાબરાના મામલતદાર એ.વી.મકવાણાએ અહીંના ધૂળિયા પ્લોટમાં રહેતા સિરાજ સતારભાઈ સૈયદ અને ગોડાઉન માલિક કાળુ ગેલાણી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નીલવડા રોડ ઉપર આવેલ જીઆઇડીસી 2 માં 26-3-2025ના રોજ કાળુ ગેલાણીના ગોડાઉનમાં સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા 3160 કિલો ચોખા, 100 કિલો બાજરી થતા આઈસીડીએસ યોજનાના લોટના 500 ગ્રામના પેકેટ, 1 કિલો લોટના પેકેટ અને મીઠાના પેકેટ મળી કુલ રૂપિયા 1,28,083નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દે તપાસ દરમિયાન ગેરરીતી સામે આવી હતી. અંતે સિરાજ સતારભાઈ સૈયદ અને ગોડાઉન માલિક કાળુ ગેલાણી સામે ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ એ.જી.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

ફરિયાદ:ખાંભાના ભાણીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે રૂપિયા 1,02,316ની ઉચાપત

ખાંભાના ભાણીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે બ્રાંચ પોસ્ટ માસ્તરે રૂપિયા 1,02,316ની ઉચાપત કરી હોવાની ખાંભા પોલીસ મથકમાં ધારી સબ ડીવીઝનલ ઈન્સપેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મુળ હરિયાણાના તોશામના રિવાસાના વતની અને હાલ ધારી પ્રેમપરામાં રહેતા તથા ધારી સબ ડીવીઝનલ ઈન્સપેકટર સજ્જનભાઈ શ્રીલીલુરામ (ઉ.વ.36)એ રાજુલાના રાભડાના વતની અને ભાણીયાના બ્રાંચ પોસ્ટ માસ્તર પારસ જસુભાઈ ગજેરા સામે ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પારસ ગજેરા ભાણીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસે સરકારી કર્મચારી તરીકે કાર્યરત છે. ફરજ દરમિયાન પારસ ગજેરાએ પોસ્ટ ઓફિસની ખુલતી સીલકના રૂપિયા 1,02,316ની ઉચાપત કરી હતી. તેમણે આ રકમ અંગત ખર્ચ માટે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. અંતે ખાંભા પોલીસ મથકમાં સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ નોંધાતા ઈન્ચાર્જ પીઆઈ જી.એમ.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

રજૂઆત:બગસરામાં એઆઇઆરના ઓનલાઇન કામમાં ઓપરેટરની નિમણૂંક કરો

બગસરા તાલુકામાં BLO દ્વારા એસઆઇઆરની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ફોર્મ ઓનલાઈન કરવા માટે મુશ્કેલી થઈ રહી હોવાથી મામલતદાર કચેરી આ કામ કરવા ઓપરેટરની નિમણૂંક કરે તેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. બગસરા તાલુકામાં BLO દ્વારા એસઆઇઆરની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગના પ્રાથમિક શિક્ષકો તેમજ શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. જેના કારણે શિક્ષણ પર પણ અસર થઈ રહી છે. વધુમાં નિમણૂંક થયેલા BLOને ફોર્મનું વિતરણ કરી ફોર્મ ભરી પરત મેળવવાના અને પછી તેને ઓનલાઈન એપ્લિકેશનમાં અપલોડ કરવાના હોય છે. આ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. પરંતુ કચેરી દ્વારા વારંવાર ઝડપથી કરવા માટે દબાણ કરવામાં આવે છે. બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ બાબતે બગસરા મામલતદારને મતદારોના ફોર્મને ઓનલાઈન કરવા માટે ઓપરેટરની નિમણૂંક કરવા માંગ કરવામાં આવી હતી. તાલુકાના 74 બીએલઓમાંથી 47 પ્રાથમિક શિક્ષકોચૂંટણીપંચ દ્વારા અલગ અલગ 18 વિભાગમાંથી કર્મચારીઓને રોકવા જણાવવામાં આવ્યું છે. છતાં બગસરા તાલુકાના કુલ બીએલઓ 74 માંથી પ્રાથમિક શિક્ષક 47, હાઇસ્કુલ શીક્ષકો 3 અને આંગણવાડી કાર્યકરો 24 લેવામાં આવેલા છે. આમ માત્ર શિક્ષણ સાથે જોડાયેલા વિભાગને જ રોકી લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

ફરિયાદ:સાવરકુંડલાના આંબરડીની મહિલાને મુંબઈમાં સાસરિયાનો દુ:ખ ત્રાસ

સાવરકુંડલાના આંબરડીની પરણિતાને મુંબઈમાં સાસરીયાએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત કરીયાવર બાબતે પણ મેણાટોણા માર્યા હતા. ઘરેથી કાઢી મુક્યા બાદ દિકરીની સગાઈ સમયે પણ મહિલાને ન બોલાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. સાવરકુંડલાના આંબરડીમાં રહેતા મિનાબેન પ્રકાશ સોલંકી (ઉ.વ.42)એ મુંબઈના નાલા સોપારા ( ઈસ્ટ) નગિનદાસ પાડા દુર્ગા એપાર્ટમેન્ટમાં રહેતા પતિ પ્રકાશ ધુડાભાઈ સોલંકી, સાસુ વાલીબેન ધુડાભાઈ સોલંકી અને દિયર દિનેશ ધુડાભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના સાસરીયા દ્વારા તેને અવારનવાર કરીયાવર અને ઘરકામ બાબતે મેણાંટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી રહ્યા હતા. તેમને ઘરેથી કાઢી મુક્યા હતા અને તેના બંને સંતાનોને લઈ ગયા હતા. તેમજ મિનાબેનની દિકરી સાક્ષીની સગાઈમાં પણ તેને ન બોલાવ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં મુંબઈના સાસરીયા વિરૂદ્ધ ગુનો નોંધાતા એએસઆઈ બી.એસ.સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

રમતગમત:વિદ્યાસભાના ખેલાડીઓએ જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં ચાર સુવર્ણ પદક જીત્યા

અમરેલીમાં ગજેરા કેમ્પસ વિદ્યાસભાના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા કરાટે ચેમ્પિયનશિપમાં 4 સુવર્ણ, 5 રજત અને 10 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા હતા. 12 અને 13 નવેમ્બરના રોજ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ કરાટે ચમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અમરેલી તરફથી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભાના સ્કૂલના કરાટે ગેમના ખેલાડીઓએ ભાગ સિદ્ધી મેળ‌વી હતી. કુલ 19 પદકો મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા 4 સુવર્ણ, 5 રજત અને 10 કાંસ્ય પદક મેળવ્યા હતા. જેમાં ચૌહાણ શ્રેયા, સોલંકી વંદના, ખાંભલા સોહિલ, ધાધલ મંદીપએ સુવર્ણ પદક હાંસલ કર્યો હતો. તેમજ બારીયા પરી, સાઉ દિયા, ઝાલા મહેક, ડોડા મંથન, ધડુક હેનીલએ રજત પદક પ્રાપ્ત કર્યો હતો. સાવલિયા વૃષ્ટિ, કાલેણા ઉર્વી, ગોલાણી ઉર્વીશા, નિષાદ આદર્શ, આસોદરીયા જીત, ડાંગર ધાર્મિક, વાળા વિશ્વરાજ, વામજા કૃપાલ, ચૌહાણ સુહાન, મકવાણા કુલદીપએ કાંસ્ય પદક મેળવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ કરાટે ખેલાડીઓ તેમજ કોચ વિકુશભાઈ ભેડાને બિરદાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

7 ઈન્ટરનેશનલ અવૉર્ડ્સ જીતી ફિલ્મે ઈતિહાસ રચ્યો:સાવરકુંડલાના યુવાને ગુજરાતી કુંડાળું ફિલ્મમાં અભિનય કર્યો

સાવરકુંડલાના કલાકાર હર્ષવર્ધન રાઠોડને કુંડાળુ ગુજરાતની અનટોલ્ડ સ્ટોરીમાં અભિનય કરવાની તક મળતાં સાવરકુંડલાના શહેરીજનોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી. હર્ષવર્ધન સાવરકુંડલાના પ્રથમ યુવાન છે, જેને આટલા મોટા પડદાં પર કામ કરવાની તક મળી હતી. કુંડાળુ ઉત્તર ગુજરાતની અનટોલ્ડ ફિલ્મેં સાત ઈન્ટરનેશનલ અવૉર્ડ્સ જીતી ઈતિહાસ રચ્યો હતો. અદૃશ્ય, અસ્વીકૃત અને અવગણાયેલા જીવનના પાત્રોની સફર ફિલ્મમાં એક છોકરાની ભૂમિકા ભજવનાર હર્ષવર્ધન રાઠોડ મૂળ સાવરકુંડલાના અને ફોટોગ્રાફી માટે શોખ ધરાવતા હોય સમય અને સંજોગે તેમને આવી ખૂબ ઉત્કૃષ્ટ ફિલ્મમાં રોલ મળતાં સાવરકુંડલાના શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ અને આનંદ છવાયેલ છે. તેમણે પોતાની કેરિયર સંદર્ભે જણાવ્યું હતું કે 2002માં મને પહેલીવાર ફિલ્મમાં BTS આર્ટિસ્ટ તરીકે કામ કરવાની તક મળી હતી, એક નાની શરૂઆતે મને આ ફિલ્મ ક્ષેત્ર વિશેની દરેક શીખ આપી, ત્યારથી લઈને આજે સુધીની સફર શીખ, જુસ્સો અને વિકાસથી ભરેલી રહી છે. સાવરકુંડલાના યુવાન હર્ષવર્ધને સમગ્ર ગૌરવનો યશ તેમના માતા પિતાને આપ્યો હતો. તેમના પિતાની સતત કાળજી અને પંદર વર્ષથી ગેરહાજરી થતા તેમના માતાએ સખત પુરૂષાર્થ દ્વારા તેના જીવન ઘડતરમાં મહત્વનું યોગદાન આપી ફિલ્મ જગતમાં મોકલ્યો હતો. હર્ષવર્ધન પોતે સાવરકુંડલાના વિસ્તારોને આવરી લઈને એક ફિલ્મનું નિર્માણ કરવાની મહત્વકાંક્ષા પણ સેવે છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી:ચેલા ગામની વાડીમાં વીજ શોકથી 10 જેટલી ગાયોના મોત

જામનગર તાલુકાના ચેલા ગામની સીમ વિસ્તારમાં વાડીમાં પાક રક્ષણ માટે ગેરકાયદે મુકવામાં આવતા વીજ શોકમાં 10 જેટલી ગાયોના મૃત્યુ નિપજતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ખેડુતો પોતાના પાક રક્ષણ માટે વાડીના શેઢા પર વીજ શોક મુકવામાં આવતો હોય છે, જેના કારણે અવાર-નવાર પશુઓ તેમજ માનવીઓનો ભોગ લેવાતો રહે છે. ત્યારે શહેરથી નજીકમાં આવેલા ચેલા ગામમાં કોઈ ખેડુત પોતાની વાડીમાં પાક રક્ષણ માટે મુકવામાં આવતા વીજ શોકમાં દશેક જેટલી ગાયોના મોત નિપજ્યા છે. જેમાં છેલ્લા બે દિવસમાં તો ત્રણેક જેટલી ગાય માતાના મોત નિપજતાં ગામ લોકો તેમજ જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. વાડીમાં વીજ શોક મુકનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ ગાય માતાના મૃતદેહના વિડીયો બનાવીને સોશ્યલ મીડીયામાં વાયરલ પણ કરવામાં આવ્યા છે. તો વિડીયોમાં અમુક પશુઓના તો હાડપિંજર જોવા મળે છે. જેથી વાડીના શેઢે ગેરકાયદે વીજ શોક મુકનાર સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

તંત્ર દ્વારા કડક કાર્યવાહી‎:કથિત ભ્રષ્ટાચાર-યાત્રિકોને અસુવિધા મુદ્દે નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને SDMની નોટીસથી ખળભળાટ

સુપ્રસિધ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે દરરોજ દેશ વિદેશમાંથી હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે ત્યારે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા અંગે મળેલી ફરીયાદો અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા મંદિરના ટ્રસ્ટીઓને નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે યાત્રાળુઓને થતી અસુવિધા અને સુરક્ષાની ચિંતાઓ તેમજ સંચાલકો દ્વારા સંભવિત બેદરકારી અને કથિત ગેરરીતિ અંગે મળેલીફરીયાદો અંગે પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 152 હેઠળ જાહેર ત્રાસદાયક બાબતો દૂર કરવા અંગે નોટીસ પાઠવવામાં આવતા ચકચાર મચી છે. જયોતિર્લિંગ પરિસરની વ્યવસ્થા, શ્રધ્ધાળુઓની સુરક્ષા અને સુચારૂ કાર્યપ્રણાલિ સુનિશ્ચત કરવા હેતુ કાર્યકારી મેજીસ્ટ્રેટ દ્વારા બીએનએસએસની કલમ 152 હેઠળ આદેશ બહાર પાડયો છે. જેમાં જણાવેલ છે કે, નાગેશ્વર મંદિરની અંદર હજારો શ્રધ્ધાળુઓ આવતા હોય, નાગેશ્વરના સરપંચની રજૂઆત અનુસાર મંદિર અંદર ગેરકાયદેસર દુકાન કરી પૂજાની થાળીનું વેચાણ કરવાની ફરીયાદ કરેલ હોય તેમજ ગેરકાયદેસરની દુકાનોને કારણે મંદિર પરિસરમાં ભાગદોડની શક્યતા રહેલી છે. ઉપરાંત ફરીયાદમાં ટ્રસ્ટ દ્વારા દાનપેટીના નાણામાં કથિત ભ્રષ્ટાચાર કરાતો હોવાની અને પૂજારી દ્વારા શ્રધ્ધાળુ પાસેથી મોટી રકમ લઈ પૂજા કરાવતા હોવાની તેમજ મંદિર આસપાસ સ્વચ્છતાના અભાવ અંગે ફરીયાદ મળેલી હોય, શ્રધ્ધાળુઓની જાહેર સલામતી ધ્યાને લઈ જાહેર ત્રાસદાયક બાબત દૂર કરવા પ્રાંત અધિકારી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧પર મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. સાથે જ કુદરતી ન્યાયના સિધ્ધાંતને લઈ તથ્યતા તપાસવી જરૂરી જણાવી તા.25ના સાંજે 4 કલાકે પ્રાંત કચેરીએ હાજર રહેવા મુદ્દત રાખવામાં આવી છે જેમાં હાજર નહિં રહીએ એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આદેશ સામે ફકત હાઇકોર્ટે કે સુપ્રિમમાં અપીલ કરી શકાયયાત્રાળુઓને થતી અસુવિધા, સુરક્ષાની ચિંતાઓ તથા પૂજારીઓ દ્વારા સંભવિત બેદરકારી અને ગેરરીતિઓ અંગે મળેલી ફરિયાદોના આધારે BNSS કલમ 152 હેઠળ કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. કાર્યકારી મેજિસ્ટ્રેટ દ્વારા આ કલમ હેઠળ બહાર પાડાયેલા આદેશો જ્યોતિર્લિંગ પરિસરની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુચારુ કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છેકે, બીએનએસએસ 152 હેઠળ કરાયેલ આદેશો સામે ફકત હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. વિવિધ ગામોના સરપંચ-પુજારી પરીવારના સભ્યે પણ આપ્યું'તુ આવેદન દ્વારકા પંથકનાં મંદિર આસપાસનાં વિવિધ ગામનાં સરપંચો દ્વારા મંદિરનાં ગેરવહીવટ અંગે તપાસ-કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ હતું. પૂજારી પરીવારનાં જ એક સભ્યે પણ આ પ્રકરણમાં ઉચ્ચકક્ષાએ તપાસની માંગ સાથે આવેદનથી ખળભળાટ મચી ગયો છે. મંદિર ટ્રસ્ટનાં હોદ્દેદારો - સંચાલકો વિરૂધ્ધ તેના પરીવારના સભ્ય ગંભીર અને સનસનાટીજનક આરોપો લગાવી કરોડોનો કથિત રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત પણ તપાસ કરવા સહિતનાં મુદ્દા સાથે રજૂઆતો કરવામાં આવી છે. રજુઆતમાં ટ્રસ્ટીઓ દ્વારા હોટલ, જમીન, પ્લોટ, ગાડીઓ ખરીદી ગેરકાયદે સંપતિનું સામ્રાજ્ય ઉભુ કરવામાં આવ્યુ હોવાનુ તથા જામનગર,ખંભાળીયા, રાજકોટ, અમદાવાદ સહિતનાં શહેરોમાં બે નંબરી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યુ હોવાનાં આરોપ લગાડવામાં આવ્યા છે.ટ્રસ્ટીઓ - પૂજારીઓ દ્વારા થતા ગેરવહીવટ અંગે સરપંચોની રજૂઆત પછી પૂજારી પરીવારનાં સભ્યએ હોદ્દેદારો તથા તેમનાં સગાઓની કથિત મિલ્કતનાં દસ્તાવેજોની નકલો રજૂ કરવા સહિત કરોડોના કથિત કૌભાંડનો આરોપ લગાવી સીબીઆઇ તપાસની માંગ કરતા સનસનાટી મચી છે, સમગ્ર પ્રકરણમાં મોટી કાર્યવાહીની પ્રબળ સંભાવના હોવાનુ જાણકારોએ મંતવ્ય વ્યકત કર્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am

કાર્યવાહી:શહેરમાં બેફામ ગતિએ બાઈક‎ચલાવનાર સીસીટીવીથી ઝડપાયો‎

જામનગર શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મદદથી શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકનાર સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક બાઈક બેફામ ગતિએ બાઈક ચલાવતા શખસને સીસીટીવી ફુટેજના આધારે શોધી કાઢી તેની સામે ગુનો નોંધ્યો છે. શહેરના લાલવાડી આવાસમાં રહેતો આશિષ રમેશભાઈ ડાભી નામનો યુવાન ગત તા.14મી તારીખે શહેરના ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગો પુરપાટ ઝડપે મોટર સાયકલ ચલાવ્યું હતું. તેની બેદરકારીથી ડ્રાઈવિંગથી અન્ય વાહન ચાલકો અનો રાહદારીઓને જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટના શહેરના પોલીસના કમાન્ડ કંટ્રોલ વિભાગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટ્રાફીક શાખાની ટીમે ફુટેજની મદદથી વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે આશિષ ડાભીની ઓળખ કરીને શોધી કાઢ્યો હતો. તેને ટ્રાફીક પોલીસ સ્ટેશને બોલાવીને પુછપરછ કરવામાં આવી હતી. તેને બેદરકારીપુર્વક વાહન ચલાવ્યાની કબુલાત કરી હતી. જે અંગેની યુવાન સામે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને તેનો કબજો સોંપી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર સહિત હાલારભરમાં બેદરકારી પૂર્વક વાહન ચલાવનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:00 am