દાહોદ નગરપાલિકાએ સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સ્ટેશન રોડ વિસ્તારમાં ‘સરપ્રાઈઝ મેગા ઓપરેશન’ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગંદકી, ધુમાડો અને દબાણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતી 7 હોટલોને સીલ કરવામાં આવી હતી. નાગરિકોની લાંબા સમયથી આવતી ફરિયાદોને ગંભીરતાથી લઈ, નગરપાલિકાની ફૂડ અને દબાણ વિભાગની સંયુક્ત ટીમોએ વહેલી સવારથી જ ઓચિંતું ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન, ભૂગર્ભ ગટરમાં એઠવાડ નાખવા, પેવર બ્લોક અને મુખ્ય માર્ગ પર ગંદકી ફેલાવવા, તેમજ ફૂટપાથ પર દબાણ કરીને વેપાર ચલાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ગંભીર ઉલ્લંઘનોને પગલે, પાલિકાએ કુલ 7 હોટલો સીલ કરી દીધી, જેમાં 4 નોનવેજ અને 3 વેજ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્માર્ટ રોડના ફૂટપાથ પર ગેરકાયદે બેસતા લારી-ગલ્લાના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, ચાઈનીઝ અને નોનવેજ લારીઓમાંથી નીકળતો વઘારનો ધુમાડો રસ્તે ચાલતા નાગરિકોની આંખોમાં બળતરા પેદા કરતો હોવાની અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે જ ધુમાડો, ગંદકી અને આરોગ્યને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈ રીતે સાંખી લેવામાં આવશે નહીં. જ્યાં સુધી સ્વચ્છતા અંગે લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી સીલ કરાયેલા એકમો ફરી ખોલવા દેવામાં આવશે નહીં. આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.” આ આકરી કાર્યવાહીથી શહેરના હોટલ સંચાલકો તેમજ લારી-ગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે. નગરપાલિકાએ સ્વચ્છ, સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત સ્માર્ટ સિટી દાહોદ બનાવવા માટે કમર કસી લીધી હોવાનું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે.
રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં ખોદકામ બાદ રસ્તા સંપૂર્ણ બિસ્માર થઇ ગયા છે. જેથી હવે ડામર કામ કરવામાં ન આવે તો 1200 આવાસની સોસાયટીના 7000 જેટલા લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી સાથેનું એક આવેદન વિસ્તારવાસીઓ દ્વારા મેયરને આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન શાસક પક્ષના નેતા અને વોર્ડ નંબર 11 ના કોર્પોરેટરે સોસાયટીના ડામોર થી મઢવાનું બજેટ ખૂબ મોટું છે આમ છતાં પણ પાકા રસ્તા માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતુ. આજે શાસ્ત્રીનગર ઓનર્સ સર્વિસ એસોસીએશન દ્વારા મહાપાલિકા ખાતે મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું છે કે આ સોસાયટી જ્યારે કોર્પોરેશનમાં ભળી ત્યારે રસ્તા સારા હતા પરંતુ 2010-11માં સોસાયટીમાં પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ કનેકશન આપવામાં આવતા રસ્તા તૂટ્યા હતા. આ બાદ સોસાયટીએ 80:20 ની સ્કીમ હેઠળ જાતે ફાળો આપીને રોડના કામ કરાવ્યા હતા પરંતુ છેલ્લા 15 વર્ષથી સોસાયટીમાં કયારેય નવા ડામર કામ કરવામાં આવ્યા નથી. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટરની ભલામણથી એકશન પ્લાનમાં માત્ર મેઇન રોડની કામગીરી કરવામાં આવી હતી. જે બાદ અત્યારસુધી કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદ દ્વારા સોસાયટીમાં તેમની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો શું સૌથી મોટો એડવાન્સ વેરો ભરતી સોસાયટી કોર્પોરેશનના નકશામાં નથી? સોસાયટીમાં તા. 17-4-2025થી ડીઆઇ પાઇપલાઇનનું કામ કરાતા અગવડતા વધી ગઇ છે. સોસાયટીના લોકો ડામર રોડની રાહ જોતા હતા ત્યારે ઉલ્ટાનું નવું ખોદકામ કરાતા રસ્તા બિસ્માર બની ગયા છે. હવે આગામી દિવસોમાં સોસાયટીના સંપૂર્ણ રોડ ડામરથી મઢવામાં નહીં આવે તો 1200 આવાસની સોસાયટીના 7000 જેટલા લોકો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશે. આ રજુઆતમાં પ્રમુખ જી.એ.જાડેજા, ઉપપ્રમુખ કે.બી.રાણા, સેક્રેટરી કે.વી.પાઠક વગેરે જોડાયા હતા.શાસક નેતા અને વોર્ડ નં.11ના કોર્પોરેટર લીલુબેન જાદવે કહ્યું હતું કે, સમગ્ર સોસાયટીને ડામરથી મઢવાનું બજેટ ઘણું મોટુ છે છતાં તેનું એસ્ટીમેટ કાઢી લેવામાં આવ્યું છે. ટુંક સમયમાં આ ખર્ચ મંજૂર કરવા પણ આયોજન કરાયું છે. લોકોને વહેલાસર પાકા રોડની સુવિધા મળે તે માટે શાસકો પ્રયત્નશીલ છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા રક્ષિત કાંડમાં આરોપી રક્ષિતને ગુજરાત હાઇકોર્ટમાંથી જમીન મળ્યા છે. હોળીના રોજ રાત્રે ગાંજોનો નશો કરી રક્ષિત ચૌરસિયાએ વડોદરાના આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7ને ઈજા થઈ હતી. આ કેસમાં 9 મહિનાથી આરોપી રક્ષિત વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતાવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો - રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જ્યો હોવાનો ઘટસ્ફોટ:13 માર્ચે રાત્રે વડોદરામાં 8ને અડફેટે લેતાં 1નું મોત નીપજ્યું હતું, 3 સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયુંરક્ષિત અકસ્માત કર્યા બાદ કારમાંથી નીચો ઊતર્યો હતો અને Another Round - Another Roundની બૂમો પાડવા લાગ્યો હતો. આ ઉપરાંત તે 'નિકિતા મેરી...' એવી પણ બૂમો પાડતો હતો. ત્યારબાદ Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયું છે. આરોપીએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરીઉલ્લેખનીય છે કે, આ પહેલા આરોપી રક્ષિતે રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં વડોદરા કોર્ટના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા બંને વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રક્ષિતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી છે. શું બન્યું હતું હોળીની રાત્રે?વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025એ રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે રક્ષિત ચૌરસિયાની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની અટકાયત કરાઈ હતી. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ આરોપીઓના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતાકારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી જોવા મળી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એકટની કલમ-27A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા હતા. કારની સ્પીડ 140 હતીઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંશુના મોબાઈલની MY VW એપ્લિકેશન સાથે કનેક્ટ હતું. જેથી, પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારની સ્પીડ 140 હતી.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત સોનુ નિગમના લાઈવ કોન્સર્ટના કોમ્પ્લિમેન્ટ્રી પાસ મેળવવા માટે હાઈકોર્ટના જજ અને તેમના જમાઈ તરીકેની ખોટી ઓળખ આપનાર એક શખસને LCB પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા યુવકે LCB કચેરીએ જઈને હાઈકોર્ટ જજના જમાઈ તરીકેની ઓળખ આપી પાસ માગ્યા હતા. હાજર પોલીસ કર્મચારીએ તેને પીઆઇ પાસે લઈ ગયા હતા. જોકે, એલસીબી પીઆઇએ ક્રોસ કરતા હાઈકોર્ટ જજના જમાઈનો રૂઆબ ઉતારી દઈ તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. જજનો જમાઈની ઓળખ આપી સોનુ નિગમના કોન્સર્ટના પાસ માગ્યારવિવારે બપોરે અમદાવાદનો જય જીગ્નેશભાઈ શાહ નામનો શખસ ગાંધીનગર LCB-2ની ઓફિસે પહોંચ્યો હતો. તેણે ત્યાં હાજર પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે, હું ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબનો જમાઈ છું અને મારે પી.આઇ સાહેબને મળવું છે. પોલીસકર્મી તેને પીઆઇ એચ.પી પરમાર પાસે લઈ ગયો હતો. ત્યાં તેણે જજના જમાઈ તરીકે ઓળખ આપીને ગિફ્ટ સિટીમાં યોજાનાર સોનુ નિગમના કોન્સર્ટના પાસની માગ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના સસરા (જજ)એ આ બાબતે અગાઉ પીઆઇને ફોન પણ કર્યો હતો. પીઆઇને યુવકના વર્તન ઉપર શંકા જતા તપાસ કરીજોકે, આ શખસની શંકાસ્પદ વર્તણૂક અને વાત કરવાની રીતને કારણે પીઆઇ પરમારને શંકા ગઈ હતી. પીઆઇના મોબાઈલ પર અગાઉ બે અલગ અલગ નંબરથી ફોન આવ્યા હતા. જેમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જજ તરીકે આપી અને બીજાએ તેમના જમાઈ તરીકે ઓળખ આપી હતી. આથી વધુ તપાસ કરતા જણાવા મળ્યું હતું કે, આ બંને નંબર સામે બેઠેલા જય શાહ પાસે જ હતા. પોલીસે તપાસ કરતા હાઈકોર્ટમાં આ નામના કોઈ જજ નહોતાપીઆઇએ આ અંગે વધુમાં હાઈકોર્ટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકે જણાવેલા નામના કોઈ વ્યક્તિ જજ તરીકે ફરજ બજાવતા નથી. પોલીસે જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં યુવકે જજના નામથી અનેક લોલોને મેસેજ કર્યા હતા અને તેનું વોટ્સએપ આઇડ પણ જજના નામથી બનાવ્યું હતું. પોલીસે જય જીગ્નેશ શાહ સામે ગુનો દાખલ કર્યોપોલીસની કડક પૂછપરછમાં યુવકે કબૂલાત કરી હતી કે, તેને મફતમાં સોનુ નિગમનો કોન્સર્ટ જોવો હતો. તેથી તેણે આ નકલી ઓળખ ઉભી કરી હતી. પોલીસે આરોપી જય જીગ્નેશભાઈ શાહ પાસેથી બે મોબાઈલ ફોન અને એક વેગન-આર કાર જપ્ત કરી છે. આ મામલે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા છે. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી. નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતીઅમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે, તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટે તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ. સંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી હતી. ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતીકોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે ,કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વીડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે, જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન હેઠળ સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે આવેલ ત્રાગડ ફાટક સમારકામને કારણે બંધ રહેશે. કુલ સાત દિવસ માટે આ ફાટક બંધ રહેશે. જેને લઈને આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે. રેલ્વે દ્વારા મળેલી માહિતી અનુસાર, AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજના કામ માટે આ ફાટક 24 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 30 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધી, કુલ 7 દિવસ માટે બંધ રહેશે. સમારકામ કાર્યને કારણે બંધ રહેશેસાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 240 (કિમી 773/4-6), જે ત્રાગડ રોડ ફાટક તરીકે ઓળખાય છે, સમારકામ કાર્યને કારણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન આ રોડ પરથી આવતા જતા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે મારફતે મુસાફરી કરવાની રહેશે.
વલસાડમાં તાજેતરમાં યોજાયેલા ત્રિ-દિવસીય સશક્ત નારી મેળામાં સખી મંડળની બહેનોએ રૂ. 18 લાખનું વેચાણ કર્યું હતું. આ મેળાને વ્યાપક પ્રતિસાદ મળતા તે સખી મંડળની બહેનો માટે ખરા અર્થમાં સાર્થક પૂરવાર થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન, વોકલ ફોર લોકલ અને મહિલા સશક્તિકરણના સંકલ્પને ચરિતાર્થ કરવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળાનું આયોજન કરાયું હતું. ધરમપુર રોડ પર સી.બી. હાઈસ્કૂલના મેદાનની બાજુમાં તા. 19 થી 21 ડિસેમ્બર દરમિયાન આ મેળો યોજાયો હતો. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મંત્રી કનુ દેસાઈએ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળામાં હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, દૂધની બનાવટ, ક્રાફ્ટ, ખેતીવાડી અને બાગાયત સહિત સખી મંડળીના કુલ 75 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનોએ મેળાની મુલાકાત લઈ ધૂમ ખરીદી કરી મહિલા કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ મેળાથી મહિલા સશક્તિકરણની નેમ સાથે મહિલાઓને સાચા અર્થમાં રોજગારી મળતા સખી મંડળની બહેનોની લખપતિ દીદી બનવાની સફર શરૂ થઈ હતી. ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના સખી મંડળની બહેનો દ્વારા જાડા ધાન્યને પ્રોત્સાહન આપવાથી ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતા સ્વ-સહાય જૂથોને પણ લાભ થયો હતો. વલસાડવાસીઓએ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જાડા ધાન્યની પણ હોંશે હોંશે ખરીદી કરી હતી. સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયાએ પરિવાર સાથે મેળામાં પહોંચી ખરીદી કરી હતી. તેમણે સ્વદેશી વસ્તુઓના વધુ વેચાણ અને વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો હતો. વિવિધ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ખરીદી કરીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જૂનાગઢ 22 રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ - 2025નો ભવ્ય ફિનાલે 25 ડિસેમ્બરે 2025ના રોજ યોજાશે. જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. 25 ડિસેમ્બરે સાંસદ ખેલ મહોત્સવનો ફાઈનલજૂનાગઢમાં 25 ડિસેમ્બરે સાંસદ ફિનાલે સવારે 7 વાગ્યેથી સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે યોજાશે. જેમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર વિધાનસભાને ચેમ્પિયન વિધાનસભા જાહેર કરવામાં આવશે. વિજેતા ખેલાડીઓને ટ્રોફી/મેડલથી સન્માનિત કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત ખેલાડીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. ફિટ યુવા ફોર વિકસિત ભારત યુવા શકિત નો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવમાં (1) કબડ્ડી (2) ખો-ખો (3) યોગાસન (4) રસ્સા ખેંચ (5) શુટીંગ વોલીબોલ (6) કુસ્તી (ફ્રી સ્ટાઈલ) (7) એથલેટીક્સ (8) સિક્સ સાઈડ ટેનીસ ક્રિકેટ :- વયજૂથ : (A)અંડર-17 (B)અબવ-17 (C) અબવ-40 (5) ઓપન એઈજ રમતો રમાડવામાં આવી છે. 1800 ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓમાં ભાગ લેશેઆ સંદર્ભે જરૂરી જાણકારી આપતા ઇન્ચાર્જ કલેક્ટર અને કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલી સંબોધન કરશે. 11-પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળના તાલુકામાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાયો બાદ અંતિમ તબક્કો જૂનાગઢ ખાતે યોજવામાં આવશે. આ સાંસદ ફિનાલેમાં સાત વિધાનસભાના ખેલાડીઓ અને ટીમો વચ્ચે જુદી જુદી 7 જેટલી પરંપરાગત રમતો સહિતની સ્પર્ધાઓ જુદી જુદી ચાર જુથમાં યોજાશે. જેમાં 1800 જેટલા ખેલાડીઓ ફાઈનલ સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ સાંસદ ખેલ મહોત્સવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ રમતગમત પ્રવૃત્તિઓને ખૂબ વેગ અને પ્રેરણા મળશે. ઉપરાંત રાજ્યમાં અમદાવાદ ખાતે કોમનવેલ્થ 2030 યોજાશે તથા ઓલમ્પિક 2036 માટે દાવેદારી કરી રહ્યા છીએ, ત્યારે યુવા શક્તિને રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા મળશે. તેમણે જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોને પણ આ ભવ્ય ફિનાલેને નિહાળવા આવવા માટે અનુરોધ કર્યો હતો. ઇનામ વિતરણનો સ્ટેજ કાર્યક્રમ યોજાશેઆ ફિનાલેનો સવારે 7 કલાકે પ્રતિભાગીઓના આગમન સાથે શરૂ થશે અને 7.30 કલાકે સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સાથે મેડલ સેરેમની ઉપરાંત 10 કલાકે ઇનામ વિતરણનો સ્ટેજ કાર્યક્રમ યોજાશે. પોરબંદર લોકસભા વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ - 2025નો પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે 14 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. આ પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેકટર બી.એસ. બારડ, શહેર જિલ્લા પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષ જીલડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર કોલસાના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને થાનગઢના મામલતદારની ટીમે આજે વહેલી સવારથી જ જામવાળી ગામની સીમમાં દરોડા પાડી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ ઓપરેશનમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ મેદાનમાં ઉતરી હતી. સૂર્યોદય પહેલાં જ ટીમે જામવાળી ગામની સીમમાં પહોંચી ગેરકાયદેસર કોલસાના કૂવાઓને તોડી પાડવાની અને લોડર મશીનો વડે બુરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી. થાનગઢના જામવાળી ગામમાં લાંબા સમયથી તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાના કૂવાઓ ખોદીને કિંમતી ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી. આ પ્રવૃત્તિ માત્ર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી નહોતી, પરંતુ પર્યાવરણ અને સ્થાનિક સુરક્ષા માટે પણ મોટો ખતરો હતી. આજે, 22 ડિસેમ્બર, 2025ના રોજ, ચોટીલા સબ ડિવિઝનના અધિકારીઓની આગેવાનીમાં આ ખનીજ ચોરો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોડર મશીનો દ્વારા એક પછી એક ગેરકાયદેસર કૂવાઓને માટીમાં મેળવી દેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, ગેરકાયદેસર ખનન કરનારા તત્વોને છોડવામાં આવશે નહીં. આ કાર્યવાહી હજુ પણ આગળ વધશે અને ખનીજ ચોરો સામે કડકમાં કડક પગલાં લેવાશે. આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ શહેરના રિજનલ પાસપોર્ટ કેન્દ્ર દ્વારા પાસપોર્ટ અરજદારો માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાસપોર્ટ સંબંધિત પૂછપરછ તથા દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવશે. રિઝનલ પાસપોર્ટ કેન્દ્ર, અમદાવાદના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી રોડ, ગુલબાઈ ટેકરા ખાતે આવેલા મુખ્ય પાસપોર્ટ કેન્દ્રમાં આવનાર અરજદારોની સુવિધા અને અરજીઓના ઝડપી નિકાલ માટે દર કાર્યદિવસે 100 ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. અરજદારો પોતાની અનુકૂળ તારીખ અને સમય માટે અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ કાર્યાલયમાં હાજર રહી શકશે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ થઈ શકશેઆ સિવાય પાસપોર્ટ અરજદારોને દર સોમવાર અને બુધવાર (રજાના દિવસો સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, કોઈપણ પ્રિ પ્લાન ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો જમા કરવા માટે કાર્યાલયમાં આવવાની છૂટ આપવામાં આવી છે. જેથી અરજદારોને સરળતા રહેશે. પાસપોર્ટ કેન્દ્રમાં હાજર થતા સમયે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે લાવવા જરૂરીઅરજદારો પોતાની અરજીની સ્થિતિ અંગે ટેલિફોન નંબર 079-26300603 પર સંપર્ક કરી શકે છે. સાથે જ, rpo.ahmedabad@mea.gov.in પર ઈમેલ દ્વારા તથા X પર @rpoahmedabad હેન્ડલ મારફતે પણ માહિતી મેળવી શકાય છે. કાર્યાલય દ્વારા અરજદારોને સલાહ આપવામાં આવી છે કે, પાસપોર્ટ કેન્દ્રમાં હાજર થતા સમયે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે લાવવા જરૂરી છે.
ફાયર NOCના મામલે રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવતાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે આ શૈક્ષણિક સંસ્થાને ડી-સીલ કરતા પહેલા ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવે. હાઇકોર્ટે 6 જાન્યુઆરીના રોજ આ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કોર્પોરેશનને આપ્યો છે. કોલેજ પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન નથીઆ સમગ્ર મામલે વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અરજદાર કોલેજના સંકુલને સીલ કરવાના આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો હતો. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્પોરેશને આ કાર્યવાહી એ કારણોસર કરી હતી કે, કોલેજ પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી અને ફાયર સેફ્ટીનો 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ'(NOC) નહોતુ. સેફ્ટીની આવશ્યકતાઓનું નિરીક્ષણ કરવા માટે નવી અરજી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યોહાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભારે ભીડભાડવાળા વિસ્તારમાં કોઈપણ ઇમારતને કોઈપણ અગ્નિ સલામતી ઉપકરણો વિના વાપરવાની મંજૂરી નથી. તેને ધ્યાનમાં લેતાં આદેશ કરવામાં આવ્યો હતો કે 27 મે, 2024ના રોજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલને ધ્યાનમાં લેતા અરજદારને 22મી ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં ગ્રાઉન્ડ, પહેલા અને બીજા માળ માટે વિવાદીત ઇમારતમાં ફાયર સેફ્ટીની આવશ્યકતાઓનું નિરીક્ષણ કરવા માટે નવી અરજી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. ઓથોરિટીએ અહેવાલ 6 જાન્યુઆરીના રોજ આ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશેએકવાર આવી અરજી કરવામાં આવે ત્યારે તેને અને વિદ્યાર્થીઓની આગામી પરીક્ષાને ધ્યાનમાં લેતાં ચીફ ફાયર ઓફિસર અમદાવાદે અરજી મળ્યાની તારીખથી એક અઠવાડિયાના સમયગાળામાં ઇમારતનું નિરીક્ષણ કરવાનું રહેશે. એકવાર નિરીક્ષણ થઈ જાય પછી ઓથોરિટીએ તેનો અહેવાલ 6 જાન્યુઆરીના રોજ આ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઈક પર ફરાર થઈ જતા 'સાઈકો'ની ધરપકડ કરી લેવામાં આવી છે. રિકન્સ્ટ્રકશન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની સાન ઠેકાણે લાવી દીધી હતી. ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતોસુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઈકસવાર પૂરઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર એક-બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય, તેની પાછળ બાઈક ધીમી પાડી મહિલાના કમરના નીચેના ભાગે અડપલાં કરી પૂરપાટ ઝડપે નાસી છૂટતો હતો. આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતોઆરોપી એટલો સાતીર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો. છેડતી સમયે જે બાઈક પર સવાર થઈને નીકળતો તે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો. જેથી પોલીસ સીસીટીીવ તપાસે તો તેમાં નંબર વાંચી ન શકાય. પોલીસે વોચમાં ગોઠવાઈને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યોનંબર પ્લેટ વગરના બાઈકને પકડવું મુશ્કેલ હતું, તેથી પીઆઈ એસ.એન. દેસાઈએ એક સ્પેશિયલ ટીમ બનાવી. આ ટીમના જવાનો સવારે 4 વાગ્યાથી જ સાદા ડ્રેસમાં અલગ-અલગ પોઈન્ટ્સ પર ગોઠવાઈ ગયા. પોલીસ વોચમાં હતી કે ક્યારે પેલો 'કાળી નંબર પ્લેટ' વાળો શિકારી જાળમાં ફસાય.અચાનક, નિર્ધારિત સમયે એ જ બાઈક સવાર દેખાયો. જેવો તેણે ફરી એકવાર મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો, કે તરત જ વોચમાં રહેલી પોલીસ ટીમે પોતાની બાઈક તેની પાછળ દોડાવી. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે કે કેવી રીતે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આ સાયકોને રસ્તા વચ્ચે જ દબોચી લીધો. વિકાસ નિશાદ મૂળ યુપીનો રહેવાસીપકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિશાદ (20 વર્ષ) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાંની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો-સાદો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો. મહિલા પોલીસકર્મીઓએ રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીની સાન ઠેકાણે લાવી દીધીઆ કેસનો સૌથી રસપ્રદ અને હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ આરોપીને 'ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન' માટે ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો. ત્યાં હાજર એક મહિલા પોલીસકર્મીએ આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો હતો.આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે જે સ્ત્રીઓને નબળી સમજે છે. પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે.
શહેરના ઘી-કાંટા અને નારોલના મટનગલી રોડ પર સ્ટ્રીટ લાઈટના કરંટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા બાદ મ્યુ. કમિશનર દ્વારા શહેરમાં સ્ટ્રીટ લાઈટની કામગીરીને લઈને તપાસના આદેશ આપ્યા હતા. આ શહેરમાં સ્ટ્રીટ લાઈટ વિભાગમાં પોલમ પોલ ચાલતી હોવાનો તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટના પોલના વાયરોના બોક્સ ખુલ્લા હોવાનો અને લાઈટો બંધ હોવા અંગેનો રિપોર્ટમાં ખુલાસો થતા ડેપ્યુટી સીટી ઇજનેરથી લઈ ટેકનિકલ સુપરવાઇઝર સહિતના 21 લોકોને શો-કોઝ નોટિસ કમિશનરે ફટકારી છે. હજુ સુધી કોઈ નવી એજન્સીને કાયમી કામ સોંપવામાં આવ્યું નથીશહેરમાં સ્ટ્રીટ લાઈટો અંગેની દિન-પ્રતિદિન ફરિયાદોમાં વધારો થયો છે. સ્ટ્રીટ લાઇટ મેઈન્ટેનન્સ માટે સીટેલૂમનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ સ્થિતિ વણસી છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઈટ વિભાગમાં જાણે કોઈનું નિયંત્રણ ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સીટેલૂમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નવી એજન્સીને કાયમી કામ સોંપવામાં આવ્યું નથી. હાલ તમામ ઝોનમાં માત્ર પેટા કોન્ટ્રાક્ટ (SITC) દ્વારા જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ફરિયાદોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. લાઈટના પોલ પરથી ડાયરેક્ટ વીજ ચોરી થતી હોવાનું તપાસમાં ખુલ્યુંસ્ટ્રીટ લાઈટમાં ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોંપેલી વિજિલન્સ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના બોક્સ ખુલ્લા છે અને વાયરો કપાયેલી હાલતમાં છે. ફક્ત એટલું જ નહીં, સ્ટ્રીટ લાઈટના પોલ પરથી ગેરકાયદે કનેક્શન લેવાયા છે, મંજૂરી વગર હેલોઝન અને ફ્લડ લાઈટો ઠોકી બેસાડવામાં આવી છે. અનેક ધાર્મિક સ્થળોએ પણ લાઈટના પોલ પરથી ડાયરેક્ટ વીજ ચોરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ તમામ ક્ષતિઓને કારણે જ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. નવા એન્જિનિયરની નિમણૂક બાદ પણ કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથીનારોલ વિસ્તારમાં મટન ગલી રોડ પર બનેલી ઘટના બાદ કમિશનરે તત્કાલીન એડિશનલ એન્જિનિયરની બદલી કરી હતી અને ઝોનના અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા પરંતુ, નવા એન્જિનિયરની નિમણૂક બાદ પણ કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. પેટા કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે શહેરની જનતા પર સ્ટ્રીટ લાઇટ પોલના કરંટનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યુ છે. જોકે, કમિશનરે હવે આ બાબતે કડક કાર્યવાહી કરી છે અને પેટા કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરતી એજન્સી દ્વારા જો યોગ્ય કામગીરી ન થાય તો તેની સામે પગલાં ભરવા પણ જણાવ્યું છે.
તા. 1-1-2026ની લાયકાત તારીખને આધાર બનાવી ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને અપાત્ર મતદાર સામેલ ન થાય’ના સૂત્ર સાથે ચાલતી આ પ્રક્રિયામાં અત્યાર સુધી 73.73 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે, જ્યારે નવા નામ ઉમેરવા માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. ભારતનું ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં તા. 27 ઓક્ટોબર 2025થી શરૂ કરાયેલી SIR ઝુંબેશ અંતર્ગત ગણતરી તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તા. 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ફોર્મ-6 દ્વારા કુલ 66,232 અરજીઓ પ્રાપ્ત થઈમુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે મતદારોને તા. 18 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધાઓ રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ-6 દ્વારા કુલ 66,232 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જ્યારે નામ કાઢી નાખવા માટે 9,966 નાગરિકોએ ફોર્મ-7 રજૂ કર્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા મળેલા તમામ દાવા-વાંધાઓની સત્યતા ચકાસી ઝડપી નિકાલની કાર્યવાહી પણ સાથે સાથે હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ચાલી રહેલી આ ઝુંબેશથી મતદાર યાદી વધુ શુદ્ધ, પારદર્શક અને વિશ્વસનીય બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું ચૂંટણી તંત્રનું માનવું છે. મતદારો માટે અપીલજો કોઈ પાત્ર નાગરિકનું નામ છૂટ્યું હોય અથવા ખોટી એન્ટ્રી જણાય, તો તા. 18 જાન્યુઆરી 2026 પહેલાં જરૂરી દાવા-વાંધા નોંધાવા ચૂંટણી વિભાગે અપીલ કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા વર્ષ 2025ના જાન્યુઆરી માસથી આજદિન સુધીમાં કુલ 60,760 ચોરસમીટર જગ્યા પરથી દબાણો દૂર કર્યા છે. ટીપી રોડ પર આવતા અને રિઝર્વ પ્લોટમાં આવતા 240થી વધુ દબાણો ઉભા કરાયા હતા. જોકે, હાલની બજાર કિંમત મુજબ 150 કરોડની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા, ફુલસર, અકવાડા સહિતના વિસ્તારોમાં 240થી વધુ દબાણભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરમાં ટીપી રોડ તથા રિઝર્વ પ્લોટોમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી વર્ષ દરમિયાન સતત હાથ ધરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025 જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન શહેરના ચિત્રા, ફુલસર, અકવાડા, અધેવાડા, તરસમિયા સહિતના વિસ્તારોમાં 240થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી 60,760 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલ બજાર કિંમત મુજબ 150 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે અને આવનાર નવા વર્ષ 2026માં પણ શહેરના ચિત્રા, ફુલસર સહિતના ટીપી રોડ તથા રિઝર્વ પ્લોટના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ફુલસરમાં 56.35 કરોડની જગ્યા ખુલ્લી કરાઈફુલસર વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમ નંબર 2(A) માં 15 મીટર રોડ અને 18 મીટર રોડમાં રિઝર્વ પ્લોટ (27),(32),(12) ખુલ્લો કરવામાં આવ્યો, જેમાં 3 ધાર્મિક દબાણો મળી અંદાજિત 90 જેટલા કાચા-પાક બાંધકામો મળી 22.540 ચોરસમીટર, જેની હાલ બજાર કિંમત મુજબ 56 કરોડ 35 લાખ રૂપિયાની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા સ્તનામ ચોકથી હરિઓમનગર સુધીની 45 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 24 માં, ચિત્રા સ્તનામ ચોકથી હરિઓમ નગર સુધીમાં આવેલ 24 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે, જે 18000 ચોરસમીટરમાં 3 ધાર્મિક દબાણો મળી કુલ 50થી વધુ કાચા પાકા બાંધકામો, જેની હાલ બજાર કિંમત 45 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ચિત્રા મસ્તરામ મંદિરથી ફિલ્ટર ટાંકી વચ્ચે 9.60 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 24 ચિત્રા મસ્તરામ મંદિરથી ફિલ્ટર ટાકી વચ્ચે આવેલા 24 મીટર રોડ ખુલ્લો કરવામાં આવેલ છે, જેમાં 4 ધાર્મિક સ્થાનો મળી 25 જેટલા કાચા-પાકા બાંધકામોની 3840 ચોરસમીટર જગ્યા, જેની હાલ બજાર કિંમત મુજબ 9.60 કરોડ ની જગ્યા ખુલી કરવામાં આવી. બાળ અદાલતથી મધુવન સોસાયટી વચ્ચે 6.25 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 25 ફુલસર બાળ અદાલતથી મધુવન સોસાયટી વચ્ચે આવતો 24 મીટર નો રોડ ખુલ્લો કરવામાં આવેલ છે, જેમાં 2500 ચોરસમીટર માં 1 ધાર્મિક દબાણ મળી 19 કાચા-પાકા દબાણો, જેની હાલ બજાર કિંમત મુજબ 6.25 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી. તરસમિયામાં 10.20 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 23 તરસમિયામાં 24 મીટર રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી 3 માળ હોસ્ટેલ બિલ્ડીંગ, સ્કૂલનો ભાગ ગ્રાઉન્ડ ફ્લોરથી 1 માળ, માર્જીનમાં આવેલ કિચનના બાંધકામો અને કમ્પાઉન્ડ વોલ મળી 4080 ચોરસમીટર જગ્યા, જેની હાલ બજાર કિંમત મુજબ 10.20 કરોડ ની જગ્યા ખુલ્લી કરવામાં આવી. અકવાડામાં 20 કરોડની જગ્યા ખુલ્લી કરાઈટીપી સ્કીમ નંબર 29 અકવાડામાં 30 મીટર નો રોડ ખુલ્લો કરવા માટે દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 1 ધાર્મિક સ્થાન મળી 54 કાચા-પાકા દબાણો, જેની 8000 ચોરસ મીટર જેટલી જગ્યા હાલ બજાર કિંમત મુજબ 20 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઝાઝરીયા હનુમાન રોડ પાસે 3 મકાનોનું દબાણ દૂર કરાયાટીપી સ્કીમ નંબર 17 અધેવાડાના ફાઇનલ પ્લોટ નંબર 190 માલેશ્રી નદી સામે ઝાઝરીયા હનુમાન રોડ પાસે 3 મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં મનપાનું પંપિંગ બનવવા માટે 1800 ચોરસમીટર ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલ બજાર કિંમત 4.50 કરોડ થાય છે. રોડ-રસ્તા, ડ્રેનેજ તથા પાણીની લાઈનનું આયોજન થશેઆ અંગે મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ ઓફિસર અશોક વેગડે જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અકવાડા ટીપી સ્કીમ નંબર 29, તરસમીયા ટીપી સ્કીમ નંબર 23, અધેવાડા ટીપી સ્કીમ નંબર 17, ચિત્રા ટીપી સ્કીમ નંબર 24, ફુલસર ટીપી સ્કીમ નંબર 25 તથા 2(A) ફુલસરની અંદર જે કોર્પોરેશનના ટીપી રસ્તા હોય તે ખુલ્લા કરવાની તેમજ રિઝર્વેશનની અંદર પણ દબાણ થયેલા હોય તો એ દબાણો ખુલ્લા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી અંદાજે રસ્તા તથા રિઝર્વ પ્લોટ જે ખુલ્લા કરવામાં આવેલ તે અંદાજિત 60,700 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, અને તેની બજાર કિંમત અત્યારના બજાર ભાવ મુજબ તેની કુલ કિંમત અંદાજિત 150 કરોડ જેટલી થવા જાય છે. આવતા દિવસોમાં જે શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવાના છે, જેમ રોડનું આયોજન તેમજ ડ્રેનેજ તથા પાણીની લાઈનનું આયોજન થશે, જે રસ્તા ખુલ્લા કરવાની જરૂરિયાત મુજબ ખુલ્લા કરવામાં આવશે.
અમદાવાદમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં મોતની ઘટના પણ વધી રહી છે. પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની ગાડીએ એક્ટિવાને ટક્કર મારી હતીદાણીપીઠ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય વિમલ સાધુ 20 ડિસેમ્બરમાં એક્ટિવા લઈને નીકળ્યો હતો. એક્ટિવા લઈને વિમલ મેમ્કો BRTS બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ વિમલની એક્ટિવાને ટક્કર મારી હતી. ગાડીની ટક્કર વાગતા જ વિમલ રોડ પર પટકાયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. AMC ગાડી ચાલક સુજનદાસની ધરપકડજ્યાં સારવાર દરમિયાન વિમલનું મોત થતા ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી AMC ગાડી ચાલક સુજનદાસની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા મૃતક વિમલ સામે અગાઉ અનેક ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું. નરોડામાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ત્રણ લોકોને અડફેટે લીધાબીજો અકસ્માત નરોડા વિસ્તારમાં બન્યો હતો. જેમાં પંજાબના લુધિયાણામાં રહેતા રાજેન્દ્રકુમાર આસેરી સંબંઘીનું વાહન લઇને ભદ્રકાળી મંદિરે દર્શન કરવા ગયા હતા. ભદ્રકાળી મંદિરે દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા નરોડા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી આઇશર ટ્રકે ટક્કર મારી હતી. આઈસરની જોરદાર ટક્કરના કારણે વાહનમાં સવાર ત્રણ લોકો રોડ પર પટકાયા હતા. જે દરમિયાન રાજેન્દ્રકુમારના પત્ની સોનાલીબેનના માથા પરથી આઇશર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી ટ્રકચાલક મંજેશકુમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરા પાસે ટ્રક પર તાડપત્રી બાંધતા કંડક્ટરનું મોત:હાઈ ટેન્શન લાઈન અડી જતાં વીજ કરંટ લાગ્યો
ગોધરા તાલુકાના પરવડી ગામ નજીક એક ટ્રક કંડક્ટરનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. ટ્રક પર તાડપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનનો સંપર્ક થતાં આ ઘટના બની હતી. મૃતક કંડક્ટરનું નામ ઈસ્માઈલભાઈ યુસુફભાઈ મહીદા હતું, જેઓ મૂળ જૂનાગઢના માંગરોળના રહેવાસી હતા. તેઓ ટ્રક નંબર GJ-31-T-8238 પર કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે બપોરના સમયે ગોધરાના પરવડી ગામે આવેલી આધ્યશક્તિ આટામેદો કંપની પાસે તેઓ ટ્રક પર તાડપત્રી બાંધી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકની ઉપરથી પસાર થતો 3 ફેઝનો જીવંત હાઈ ટેન્શન વાયર અચાનક તેમના સંપર્કમાં આવ્યો હતો. વીજ કરંટ લાગવાને કારણે ઈસ્માઈલભાઈના કપડાંમાં આગ લાગી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે ટ્રક ડ્રાઈવર અરજણભાઈ કરમટાએ ગોધરા તાલુકા પોલીસને જાણ કરી હતી. ગોધરા તાલુકા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મિલેટની પાણીપુરી, રાગીમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ, રાગીનો ઠુમરો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'નું આજે સમાપન થયું છે, ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'માં 100 ક્રાફ્ટ તથા 20 ફૂડ વેચાણ સહિત કુલ 120 જેટલાં સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યાં હતાં, જવાહર મેદાન ખાતે ત્રણ દિવસ દરમ્યાન સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફટ, જવેલરી, હર્બલ પ્રોડક્ટ, વુડન ટોઈઝ, ડેર્રી પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ, દુધની પ્રોડક્ટ, હેલ્ધી ફૂડ મિલેટ, ખાખરા પાપડ અથાણા, મસાલા ઉપરાંત જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરાયું હતુ. ક્રાફ્ટ સ્ટોલમાં રૂ.13,49,537 અને ફૂડ સ્ટોલમાં રૂ.4,00,670 સહિત કુલ રૂ.17,50,207 લાખની આવક નોંધાઇ હતી. જેમાં 21,378 લોકોએ મેળાની મુલાકાત લઈને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ મેળવી હતી, મેળામાં મિલેટની પાણીપુરી, રાગીમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ, રાગીનો ઠુમરો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા, મેળા દરમિયાન કૃષિ વિભાગના તત્વમ સ્ટોલે વિવિધ વસ્તુઓનું વેચાણ કરીને રૂ.89,000 હજારની રકમની કમાણી પણ કરી હતી. ક્રાફટ સ્ટોલમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના-48, કૃષિ વિભાગના-13, મહિલા આર્થિક વિકાસ નિગમના -7, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-9, મહિલા આર્થિક વિકાસ નિગમ-7, ભાવનગર મહાનગર પાલિકા- 15, કો-ઓપરેટીવ -3 અને વન વિભાગમાંથી 1 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુએ ફુડ અને ક્રાફટ સ્ટોલની મુલાકાત લઈને 'લોકલ ફોર વોકલ' અને 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા બદલ બહેનોને શુભેચ્છા પાઠવી હતી, ભાવનગર ખાતે યોજાયેલો 'સશક્ત નારી મેળો' અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સાથે યાદગાર પણ બન્યો હતો.
તખતગઢમાં સાત દિવસીય ભાગવત કથાનો પ્રારંભ:કૃષ્ણાનંદ મહારાજની શતાબ્દી અને સ્મૃતિમાં આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ખાતે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે. પરમહંસ બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદ મહારાજના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને તેમણે માધવ કુટિર, તખતગઢમાં વિતાવેલા ૧૧ વર્ષની સ્મૃતિમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન તેમના શિષ્યમંડળ તથા ગ્રામજનો દ્વારા કરાયું છે. કથાના શુભારંભ પૂર્વે તખતગઢમાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં ૨૪ ભાગવત પોથીઓ જોડાઈ હતી. સાંજે ગુરુમા સમાનંદ સરસ્વતીએ ભાગવત કથા મંડપનું અનાવરણ કર્યું હતું. પોથીયાત્રામાં ગુરુમા સમાનંદ સરસ્વતી ઉપરાંત સ્વામી પુરુષોત્તમાનંદ મહારાજ (તખતગઢ), આત્માનંદ માતાજી (ભચાઉ), સ્વામી અક્ષયાનંદ સરસ્વતી (ઉત્તર કાશી), સ્વામી વિશ્વાનંદ સરસ્વતી (હિંમતનગર), પૂર્ણાનંદ માતાજી (રાણાવાવ) અને ચૈતન્યાજી (સમદર્શન, ગાંધીનગર) સહિતના સંતો જોડાયા હતા. તત્વતીર્થ, અમદાવાદના સ્વામીની વિદ્યાપ્રકાશાનંદા સરસ્વતીની પાવન ઉપસ્થિતિમાં ગુરુમા સમાનંદ સરસ્વતી અને અન્ય સંતોએ દીપ પ્રગટાવીને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મુખ્ય યજમાન સ્વ.ખીમજી પોકાર પરિવાર, રાધેશ્યામ પુરુષોત્તમ પોકાર તથા પરીક્ષિત વિઠ્ઠલ પોકાર પરિવાર છે. મુખ્ય પોથીના યજમાન સાવિત્રીબેન નરસિંહ ધોળુ પરિવાર તથા મૈત્રીબેન ધોળુ પરિવાર છે. સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત આ કથાના સંયોજક તરીકે ચંદ્રકાંત છાભૈયા, નિશાંત માકાણી અને તુલસીદાસ ધોળુ સેવાઓ આપી રહ્યા છે. ભાવિક ભક્તજનો આગામી સાત દિવસ સુધી દરરોજ સવારે ૮:૩૦થી ૧૧:૩૦ અને બપોરે ૨:૩૦થી સાંજે ૫:૩૦ વાગ્યા દરમિયાન ગુરુમા સમાનંદ સરસ્વતીની તખતગઢ શ્રીમદ્ ભાગવત કથા શ્રવણનો લાભ લઈ શકશે.
પૃથ્વીના પેટાળમાં જ્યારે પ્રચંડ હિલચાલ શરૂ થઈ અને કરોડો વર્ષોની ભૌગોલિક ઉથલપાથલ પછી એશિયાનો આકાર નક્કી થયો, ત્યારે ભારતીય પ્લેટની ટક્કરથી હિમાલયનો જન્મ થયો. પણ ભૂસ્તરશાસ્ત્ર કહે છે કે હિમાલય તો હજુ 'બાળક' છે, તેની સરખામણીએ અરવલ્લીની ગિરિમાળાઓ અબજો વર્ષો જૂની છે. અંદાજે દોઢ બિલિયન વર્ષ જૂની આ પર્વતમાળાના અસ્તિત્વ અને તેની સુરક્ષા મામલે અત્યારે દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ અત્યંત કડક છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગિરિમાળાનો એક છેડો જ્યાં ભારતની સર્વોચ્ચ સત્તા એટલે કે રાષ્ટ્રપતિ ભવન (રાયસીના હિલ્સ) આવેલું છે ત્યાં છે, તો તેનો બીજો છેડો આપણા અમદાવાદના થલતેજ અને જોધપુર ટેકરામાં શમી જાય છે. માઉન્ટ આબુનું ગુરુશિખર (1722 મીટર) જેનું સૌથી ઊંચું શિખર છે, એ અરવલ્લી માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ પૃથ્વીના ઇતિહાસની સાક્ષી છે. પરંતુ, આજે આપણે એ સ્થિર પહાડો કે કરોડો વર્ષ જૂના ટેકરાઓની વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે એ ભૌગોલિક અશાંતિની જે અત્યારે લોહીથી ખરડાયેલી છે. દુનિયાના ચારેય ખૂણે ફેલાયેલા અહંકારના યુદ્ધો અને એ યુદ્ધોમાંથી પેદા થયેલી આગ અને રાખની... નમસ્કાર... વિજ્ઞાન મુજબ 21 ડિસેમ્બરની રાત આ વર્ષની સૌથી લાંબી રાત હતી અને 22 ડિસેમ્બરનો દિવસ સૌથી ટૂંકો દિવસ. ખગોળ વિજ્ઞાન મુજબ આજે વિન્ટર સોલ્સ્ટિસ કહેવાય છે. વિજ્ઞાન કહે છે કે કાલથી સૂર્ય ઉત્તરાયણ થશે. સૂર્યનો પ્રકાશ વધશે...પણ જ્યારે આપણે દુનિયાના દેશોમાં થતી ઘટનાઓ જોઈએ ત્યારે લાગે કે સૂર્ય ગમે તેટલો પ્રકાશ ફેંકે પણ દુનિયામાં તો ગ્રહણ જ દેખાય છે. કહેવાનો મતલબ એ છે કે વિશ્વ હાલ બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી ભયાનક ભૌગોલિક અને રાજકીય લકવામાંથી પસાર થઈ રહ્યો છે. આજે દુનિયા એક-બે જગ્યાએ નહીં, પણ ચારેય ખૂણે સળગી રહી છે. જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે શાંતિદૂત યુનાઈટેડ નેશન્સ ચર્ચા મંડળ બનીને ઉભું છે. બીજી બાજુ રશિયા, ચીન, ઈરાન અને ઉત્તર કોરિયાની એક નવી ધરી તૈયાર થઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને લોહીની હોળી ગાઝા-ઈઝરાયલ શહેરી યુદ્ધ સુદાન નરક બન્યું ગમે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધ, ભણકારા શરૂ થઈ ગયા છે આવા જ હાલ વેનેઝુએલા અને તાઈવાન થઈ શકે એવી તૈયારી છે. વેનેઝુએલાએ ગુયાના પર આક્રમણ કર્યું છે કારણ કે ત્યાં તેલનો ભંડાર છે. તાઈવાનની વાત કરીએ તો જો ચીન અહીં નાકાબંધી કરે તો ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે. હાલ ચીન અને જાપાન તાઈવાન મામલે સામસામે આવી ગયા છે. આ પરિસ્થિતિ અચાનક નથી આવી. નજીકની જ વાત કરીએ તો તેના મૂળમાં 1991માં સોવિયત યુનિયનનું પતન છે. પશ્ચિમી દેશોને લાગ્યું કે હવે દુનિયા માત્ર અમેરિકાના તાલે નાચશે. પણ ચીન અને રશિયા પોતાના પગ પર ફરી ઉભા થયા. 2022માં જ્યારે પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે તે માત્ર જમીન માટે નહોતું. તે નાટો સમૂહને દેખાડી દેવા માટે હતું કે, તમે અમારા દરવાજે ઉભા રહીને અમને ધમકાવી નહીં શકો. તમારી દાદાગીરીનો સમય પૂરો થયો છે. એક સમય હતો જ્યારે યુદ્ધ તલવાર અને ભાલાથી લડાતા હતા. એ જમાનો ગયો અને હવે મોર્ડન વોર એરા આવ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધે વિશ્વને બે નવા વિનાશક હથિયાર આપ્યા છે. 1) સ્પાઈડર વેબ 2) લાન્સેટ નવી સદીની નવી લડાઈ સ્પાઈડરવેબને દેશી રીતે સમજવું હોય તો સેંકડો સસ્તા ડ્રોન મધમાખીઓની જેમ એકસાથે આકાશમાં છોડાય છે. તેઓ એકબીજા સાથે વાતો કરે છે. તે દુશ્મનની કરોડોની એર ડિફેન્સ સિસ્ટમને જાળમાં ફસાવીને તેને નકામી બનાવી દે છે. લાન્સેટ એટલે આત્મઘાતી ડ્રોન. તે આકાશમાં કલાકો સુધી શાંતિથી ઉડે છે, શિકારને શોધે છે અને જેવો ટાર્ગેટ દેખાય કે તરત જ તેની સાથે અથડાઈને વિસ્ફોટ કરે છે. ટૂંકમાં, આજની લાંબી રાત ભવિષ્યમાં સૈનિકો માટે સુરક્ષિત નથી. થર્મલ કેમેરા અને AI સેન્સર્સ સતત મોત વરસાવી રહ્યા છે.ઇઝરાયલની 'લેવેન્ડર' સિસ્ટમ જે દિવસના 100 ટાર્ગેટ હિટ કરવાની કેપેસિટી રાખે છે. બધે એમ કહેવાય છે કે યુદ્ધ તો દેશ પ્રેમ માટે અને વિચારધારા માટે લડાય છે પણ નહીં... હકીકત તો કંઈક બીજી જ છે. આ નવી સદીના સોના માટેની પણ લડાઈઓ છે. યુક્રેન અને તાઈવાનનો દબદબો 1) લિથિયમ અને રેર અર્થ: યુક્રેન પાસે 12 ટ્રિલિયનના મિનરલ્સ છે, જેના વગર આપણી ઇલેક્ટ્રિક કાર કે સ્માર્ટફોન ન બની શકે. 2) માઈક્રોચિપ્સ: તાઈવાન દુનિયાની 90 ટકા હાઈ એન્ડ સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવે છે. જો ચીન તાઈવાન લે, તો આખી દુનિયાની ટેકનોલોજી પર તેનો કબજો થઈ જાય. ભારતને ત્રણ પાડોશી દેશથી જોખમ ભારત આ મામલે એકદમ તટસ્થ છે. પણ ભારત માટે આ ગ્લોબલ અંધકાર હવે સરહદ સુધી પણ પહોંચ્યો છે: 1) ચીનઃ સ્લાઈસિંગ ટેક્નિકથી ધીમે ધીમે ટુકડા કરીને પોતાના કરી નાખવાના ચીનના ભારત માટે ખતરનાક છે. 2) બાંગ્લાદેશઃ બદલાયેલી સત્તા અને 4 હજાર કિલોમીટરથી પણ લાંબી સરહદ ધરાવતો આ કટ્ટરવાદી દેશ ભારતના ભાગોને પોતાના કહે છે. જે ભારતની આંતરિક સુરક્ષા માટે જોખમ છે. 3) પાકિસ્તાનઃ વારંવાર ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદ ફેલાવે છે. બધુ જોતા લાગી રહ્યું છે કે આવતા વર્ષે 2026માં 3 મોટી સંભવિત ઘટના ઘટી શકે. 2026ની ત્રણ સંભાવના 1) રશિયા યુક્રેન યુદ્ધ બંધ થઈ શકે 2) ચીન તાઈવાનની ઘેરાબંધી કરી શકે 3) હાઈબ્રિડ યુદ્ધઃ શાંતિ પણ નહીં અને યુદ્ધ પણ નહીં એક કહેવત છે ને કે, જ્યારે 'સાંઢ' લડે ત્યારે 'ઘાસ' નો ખો નીકળે. આપણે દુનિયામાં શું ચાલે તેની સાથે આપણે શું લેવા દેવા એવું ન વિચારવું જોઈએ... દુનિયાના કોઈ પણ ખુણે નાની એવી બનતી ઘટના પણ આપણા ઘર સુધી અસર કરી શકે છે. અને છેલ્લે..... જેમ્સ કેમરુનની એક ફિલ્મ બહુ વખણાઈ, નામ છે અવતાર. તેનો રાખ અને આગ નામનો ત્રીજો ભાગ આવ્યો છે. ફાયર એન્ડ એશનું આ ટાઈટલ વર્ષ 2025ને બરાબર સમજાવે છે. અવતારના પહેલા ભાગમાં માણસની લાલચ હતી અને ત્રીજા ભાગમાં અહંકારની આગ છે. જે દઝાડે તો રાખ જ વધે છે. પણ આજની રાત ગમે તેટલી લાંબી હોય. કાલે સૂરજ ફરી ઉગવાનો છે. 2026 નામનો સૂરજ હવે કેવું અજવાળું લાવશે તે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર)
મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો
Goa Zilla Panchayat Election Results : મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની 50 બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (22 ડિસેમ્બર) જાહેર થયું છે. ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 30 બેઠક પોતાના નામે કરીને જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી હતી.
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. ગોડાદરાના દેવદ ગામ પાસે આવેલા પતરાના શેડમાં કાર્યરત ફર્નિચરના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુંમળતી માહિતી મુજબ, દેવદ ગામમાં આવેલા પતરાના શેડમાં ફર્નિચર બનાવવાનું તેમજ સંગ્રહ કરવાનું કામ ચાલતું હતું. આજે અચાનક કોઈ અગમ્ય કારણોસર એક ગોડાઉનમાં આગ લાગી હતી. ફર્નિચર બનાવવા માટે વપરાતા લાકડા, ગુંદર અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગની ઝપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીઆગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કુલ 6 ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પતરાના શેડ હોવાને કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. કોમર્શિયલ એકમોમાં અફરાતફરીનો માહોલ સર્જાયોઆગને પગલે આસપાસના રહેણાંક અને અન્ય કોમર્શિયલ એકમોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે રસ્તે જતા લોકો પણ ઊભા રહી ગયા હતા. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ફર્નિચરના જથ્થાને કારણે મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર સેફ્ટીના નિયમોના અમલીકરણ સામે પણ સવાલોનોંધનીય છે કે, અગાઉ પણ ગોડાદરા વિસ્તારમાં પતરાના શેડમાં આગ લાગવાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે ફાયર સેફ્ટીના નિયમોના અમલીકરણ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હિંમતનગર BAPS મંદિરે 80 બાળ વિદ્વાનોનું સન્માન:સત્સંગદીક્ષા ગ્રંથના 315 શ્લોકોના મુખપાઠ બદલ અભિવાદન
હિંમતનગરના કાંકરોલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે 80 બાળ વિદ્વાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બાળકોએ 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ પૂર્ણ કર્યો છે. હિંમતનગરના ધારાસભ્યના હસ્તે આ બાળકોનું અભિવાદન કરાયું હતું. BAPS દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળ વિદ્વાનોએ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ દ્વારા રચિત 'સત્સંગદીક્ષા' ગ્રંથના તમામ 315 શ્લોકો કંઠસ્થ કર્યા છે. તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર BAPS સંસ્થામાં કુલ 15,666 બાળકો અને બાલિકાઓએ આ ગ્રંથના શ્લોકોનો મુખપાઠ પૂર્ણ કરીને એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. આ અભિવાદન સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સાબરકાંઠા DEO મીતાબેન ગઢવી અને સાબરકાંઠા DPEO કેયુર ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળ વિદ્વાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે બાળકો દ્વારા સમૂહગાન, પેનલ ડિસ્કશન, મુખપાઠ રજૂઆત, પ્રસંગ કથન, સન્માન યાત્રા અને સ્મૃતિ ભેટ વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોથી ઉપસ્થિત અનેક વાલીઓને પણ પ્રેરણા મળી હતી. કાર્યક્રમનું સમાપન સમૂહ આરતી સાથે થયું હતું.
જૂનાગઢ માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વંથલી તાલુકાના ખોખરડા ગામે એક શાળાના ઓરડાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીડિયોમાં ધારાસભ્ય શહેરના વિકાસ સામે નકારાત્મક ટિપ્પણી કરતા હોવાનું જણાતા નેટીઝન્સ તેમને સોશિયલ મીડિયા પર આડે હાથ લઈ રહ્યા છે. 'સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી'વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી બોલતા સંભળાય છે કે, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. હું આજે પણ ગામડામાં જ રહું છું અને દિનેશભાઈ પણ ગામડામાં જ રહે છે. સિટીમાં અમને ફાવતું નથી અને સિટીનો વિકાસ અમારાથી દેખાતો પણ નથી. લોકોની સોશિયલ મીડિયા પર રાજીનામાની માગઆ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તીખી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ કોમેન્ટમાં લખ્યું છે કે જો શહેરનો વિકાસ ન ગમતો હોય કે ન કરી શકતા હોય તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. 'શહેરના વિકાસનો વિરોધ કરવાનો નહોતો, પરંતુ ગામડાના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો'વિવાદ વધતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગઈ 19 તારીખના રોજ ખોખરડા ગામે પ્રાથમિક શાળાના લોકાર્પણમાં મેં જે પ્રવચન આપ્યું હતું, તેનો અધૂરો વીડિયો વાયરલ કરીને ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, ગામડાઓમાં શાળાઓ વ્યવસ્થિત ચાલે અને બાળકોની સંખ્યા જળવાઈ રહે તે જરૂરી છે. ગામડાનો વિકાસ ગ્રામ પંચાયત અને સરપંચો દ્વારા થતો હોય છે અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો સદુપયોગ કરીને ગામડાને જાગૃત રાખવા જોઈએ. જોકે, ધારાસભ્યની આ સ્પષ્ટતા બાદ પણ સોશિયલ મીડિયા પર વિવાદ શમવાનું નામ લેતો નથી અને લોકો તેમના શબ્દોની પસંદગી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ પણ વાંચો 'મને સળી કરવાવાળાના ફોન હું ઉપાડતો નથી':MLA અરવિંદ લાડાણીના નિવેદનથી ખેડૂતોમાં રોષજૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે 'ફોન કોલ' અને 'સળી'ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો હતો. કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે, ત્યારે તેમને પૂરતો પ્રતિસાદ મળતો નથી. આ મામલે ધારાસભ્યએ આપેલા નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
રેપિડ એક્શન ફોર્સ (RAF) ની ટીમ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે. આ ટીમ 18 થી 22 ડિસેમ્બર, 2025 સુધી જિલ્લામાં રોકાણ કરશે અને વિવિધ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેશે. આજે સાંજે, ટીમે હિંમતનગરના A અને B ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. RAF ટીમની આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધવાનો છે. આ ઉપરાંત, જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવી તેમજ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ અંગે જાણકારી એકત્ર કરવાનો પણ આ મુલાકાતનો ઉદ્દેશ્ય છે. સોમવારે સાંજે, RAF ટીમે હિંમતનગરના B ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. પોલીસ સ્ટેશનના PI એમ.ડી. ચૌહાણ સહિત સ્થાનિક પોલીસ સાથે ટીમે ન્યાય મંદિર, હસનનગર, વણઝારા વાસ, અંબર સિનેમા રોડ, અલકાપુરી, હાજીપુરા, હુસૈની ચોક, ભાગ્યોદય ડેરી, ટાવર, બસ સ્ટેન્ડ અને જૂના બજાર જેવા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ત્યારબાદ, A ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા બાદ, PI પી.એમ. ચૌધરી અને તેમના સ્ટાફ સાથે RAF ટીમે છાપરિયા વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
ગાંધીનગરના સેક્ટર-24માં આવેલ ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 4 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર બિહારના વતની રામસિંગ ઉર્ફે રામ ગનીત દેવનંદન યાદવને આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેને ગાંધીનગર કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યો હતો. જોકે રિમાન્ડ અરજીની ત્રુટીઓને લઈ કોર્ટે મહિલા પીઆઈની કાયદાની BNS 109 કલમની અજ્ઞાનતા બાબતે ઝાટકણી કાઢી હતી. ત્યારે કોર્ટના કડક વલણના પગલે મહિલા પીઆઈને પસીનો છૂટી ગયો હતો. અને રિમાન્ડ અરજીની ત્રુટિઓ દૂર કરવા દોડધામ કરી મૂકી હતી. ત્યારબાદ કોર્ટે આરોપીના 26 ડિસેમ્બર એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા મહિલા PIએ ફાયરિંગ કર્યું હતુગાંધીનગર સેક્ટર-25 GIDCની ડેરીમાં કામ કરતા બિહારના વતની રામસિંગ ઉર્ફે રામ ગનીત દેવ નંદન યાદવે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીઓમાં પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ જ્યારે પોલીસ આરોપીને ઘટનાના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે સેકટર 21 પોલીસ મથકના પીઆઈ લત્તાબેન દેસાઈ સહિત પોલીસ કર્મચારીઓને ધક્કો માર્યો હતો. અને તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આ સમયે સેક્ટર-21 પીઆઈએ આરોપીને રોકવા માટે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. રિમાન્ડ અરજી બાબતે કોર્ટે મહિલા PIની ઝાટકણી કાઢીઆજે સિવિલમાંથી રજા મળતા જ પોલીસ તેને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે લઈ ગઈ હતી.જેને ગાંધીનગરના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે કોર્ટે આરોપીને ચલાવી તેની શારીરિક સ્થિતિનુ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સરકાર તરફે ડીજીપી હિતેશ રાવલ હાજર રહ્યા હતા. રિમાન્ડ અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે મહિલા પીઆઈ દેસાઈને આરોપી વિરુધ લગાવવામાં આવેલી BNS 109 કલમ વિશે પૂછ્યું હતું. જેનો મહિલા પીઆઈ દેસાઈ સંતોષજનક જવાબ આપી શક્યા ન હતા. જ્યારે કોર્ટ ના ધ્યાને આવ્યું હતું કે, સરકારી વકીલ સાથે પરામર્શ કર્યો વિના રિમાન્ડ મેળવવા માટે આરોપીને સીધો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જે બાબતે પણ ડીજીપીએ મહિલા પીઆઇની ઝાટકણી કાઢી ફરીવાર ધ્યાન રાખવા તાકીદ કરી હતી. આરોપીના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂરત્યારે રિમાન્ડ અરજીમાં પણ કેટલીક ત્રુટીઓ હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું હતું. તો આટલો ગંભીર ગુનો હોવા છતાં કેસ ડાયરીમાં ક્યાં પાના ઉપર નોંધ કરી એ બાબતે પણ મહિલા પીઆઈને પૂછવામાં આવ્યું હતું. કોર્ટના કાયદાકીય સવાલોથી મહિલા પીઆઈને પસીનો છુટી ગયો હતો. અને રિમાન્ડ અરજીની ત્રુટિઓ દૂર કરવા દોડધામ કરી મૂકી હતી. બાદમાં રિમાન્ડ અરજી વ્યવસ્થિત રીતે તૈયાર કરીને રજૂ કરાઈ હતી. અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
વડોદરાની નિશા કુમારી પર્યાવરણ સંરક્ષણ અને ફિટ ઇન્ડિયા મિશનનો સંદેશ લઈને દાહોદ પહોંચી હતી. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમની આ પ્રેરણાદાયક સાયકલ યાત્રાનું સ્વાગત કર્યું હતું. નિશા કુમારી અરુણાચલ પ્રદેશથી ગુજરાતના મુન્દ્રા સુધીની લાંબી સાયકલ યાત્રા કરી રહી છે. આ યાત્રાની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, 31 ઓક્ટોબર, 2025ના રોજ અરુણાચલ પ્રદેશમાંથી થઈ હતી અને તેનો અંત મુન્દ્રા ખાતે થવાનો છે. આ યાત્રા દરમિયાન તેઓ સાત રાજ્યો પાર કરી ચૂક્યા છે. નિશા કુમારી માત્ર સાયકલ યાત્રા પૂરતી સીમિત નથી, પરંતુ પર્યાવરણ માટે જમીન પર સક્રિયપણે કાર્યરત છે. તેમણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષો વાવીને હરિયાળું ભારત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. યાત્રા દરમિયાન, તેઓ વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને ફિટનેસ અંગે પ્રેરણા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નિશા કુમારીએ વર્ષ 2023માં વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો, જેનાથી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું હતું. તેમની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત બની છે. આ સાયકલ યાત્રામાં નિશાની ટીમમાં તેમના કોચ સાથે એક મહિલા અને એક આઠ વર્ષની બાળકી પણ જોડાયેલી છે. આ ટીમ મહિલાશક્તિ અને બાળપ્રેરણાનો અનોખો સંદેશ આપે છે. તેમની આ યાત્રા આજે સમગ્ર સમાજ માટે પર્યાવરણ જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
Gujarat's Aravalli Mountains Controversy : કરોડો વર્ષોથી અરવલ્લી પર્વતમાળા ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન છે પરંતુ તાજેતરના નીતિગત ફેરફારો પછી તેના અસ્તિત્વ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરવલ્લી પર્વતની નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં આવશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો અભિયાન ઉપર ગુજરાતમાં છેડાયું છે. ત્યારે હવે આ મામલે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી છે.
ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા. સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણા, સભ્યો ભગવાનભાઈ બારડ, કિરીટસિંહ ડાભી, સુખાજી, કિરિટભાઈ પટેલ તેમજ વન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સોમવારે પધારેલા ખાતરી સમિતિના સભ્યોનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સભ્યોએ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા અને મંદિર પરિસરમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળ શહેરમાં ગત 19 ડિસેમ્બરની વહેલી સવારે 5:15 વાગ્યે હત્યાની ઘટના બની હતી. શહેરની મુખ્ય બજારમાં સુભાષ રોડ પર 50 વર્ષીય પુનાભાઈ સોલંકી પર તેના સાળા, સાળી અને અન્ય 4 વ્યક્તિઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો, જેમાં પુનાભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું. હત્યાની આ ઘટનામાં મૃતકના સાળા, સાળી અને અન્ય 4 વ્યક્તિઓ સામેલ હતા. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ તમામ વ્યક્તિઓ 8 મિનિટ સુધી મૃતક આધેડના શરીર પર ભારે પથ્થરના ઘા મારતા દેખાય છે. 8 મિનિટ સુધી માથા, શરીર પર ભારે પથ્થરના ઘા માર્યાજે જગ્યાએ ઘટના બની તેની બાજુની દુકાનના CCTVમાં આ હત્યાની ઘટના રેકોર્ડ થઇ છે. CCTVમાં દેખાઈ રહ્યું છે કે મૃતક પુનાભાઈ સોલંકીને બે પુરુષો હાથ અને પગ પકડી રાખે છે અને અન્ય બે પુરુષો અને બે મહિલા આજુબાજુના સ્થળેથી મોટા પથ્થરોના ઘા મારે છે, બીજી બાજુ મૃતક આધેડ આ હેવાનોથી બચવા તરફડિયાં મારી રહ્યાં છે, પણ કશું થઈ શકતું નથી. આ હત્યારાઑ દ્વારા મૃતક પુનાભાઈના શરીર પર પથ્થરો મારવાનો ઘટનાક્રમ 8 મિનિટ સુધી ચાલે છે, અંતે તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ જે છે. મૃતકના સાળા, સાળી અને અન્ય 4 આરોપીની ધરપકડઘટનાની જાણ થતાં જ DYSP વી.આર. ખેંગાર, PI ગોસ્વામી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ CCTV ફૂટેજ અને અન્ય સંયોગીક પુરાવાને આધારે આ ઘટનામાં બે મહિલા સહિત 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ 6 આરોપીઓમાં મૃતક પુનાભાઈ સોલંકીનો સાળો, સાળી અને સાળીનો પુત્ર પણ સામેલ છે. આરોપીઓની વિગત શા માટે કરી હત્યા?પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક પુનાભાઈ સોલંકી અને તેમના સાળા વચ્ચે કોઈ અંગત બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ ઘટનામાં મૃતક અને આરોપીઓ તમામ દેવીપૂજક સમાજના છે.
અમદાવાદમાં માઇકા સ્કૂલ ઓફ આઇડિયાઝે એમ્પાવરિંગ પીપલ વીથ રિસ્પોન્સિબલ AI સ્કિલ્સ, ટ્રસ્ટ એન્ડ એક્સેસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની પ્રી-સમિટ ઇવેન્ટ હતી. ટેડએક્સ-સ્ટાઇલ ફોર્મેટમાં ડિઝાઇન કરાયેલો આ પ્રોગ્રામ માઇકા કેમ્પસમાં યોજાયો હતો. જેમાં નીતિ નિર્ધારકો, નિષ્ણાંતો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ટેક્નોલોજીસ્ટ, એકેડેમિયા અને ક્રિએટિવ પ્રોફેશનલ્સ એક મંચ પર એકત્રિત થયાં હતા અને ચર્ચા કરી હતી. આગામી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટની વ્યાપક થીમ પર ચર્ચાભારત AIના ભવિષ્યને આકાર આપી શકે છે. જે નૈતિક, સુવિધાજનક અને માનવીય મૂલ્યો આધારિત હોય. આ ચર્ચા આગામી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટની વ્યાપક થીમ સાથે સંલગ્ન હતી. જેમાં હ્યુમન કેપિટલ, સમાવેશકતા, સુરક્ષિત અને વિશ્વસનીય AI, AI સંસાધનોની વ્યાપક ઉપલબ્ધતા તેમજ સામાજિક અને આર્થિક વિકાસ માટે AI વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 'AI માનવજાતના અસ્તિત્વ સામે ખતરો હોવાનો હાઇપ'માઇકાના ડાયરેક્ટ અને સીઇઓ જયા દેશમુખે જણાવ્યું હતું કે, AI સંબંધિત ચર્ચાઓ મુખ્યત્વે બે બાબતો ઉપર કેન્દ્રિત રહે છે, માનવ વિસ્થાપનનો ભય અને વિચાર્યા વગરનો ટેક્નોલોજીકલ આશાવાદ. તેમણે ઉમેર્યું હતું કે, AI માનવજાતના અસ્તિત્વ સામે ખતરો હોવાનો હાઇપ છે અને તેની સામે એટલાં જ મજબૂત દાવા પણ છે કે ટેક્નોલોજી વિશ્વને બદલી નાખશે અને આપણી સમસ્યાઓનો ઉકેલ લાવશે. આ ચર્ચાઓ વચ્ચે સવાલ એ છે કે સત્ય કેવી રીતે ઉભરી આવશે. તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આપણે તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીએ છીએ. આ બાબતો જ ચર્ચાનો ઉદ્દેશ્ય છે. એક સંસ્થાન તરીકે માઇકાની ભૂમિકા કૌશલ્ય વિકાસથી આગળ વધતાં કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, કલ્ચર અને કમ્યુનિટી સંબંધિત આઇડિયાને એકીકૃત કરવાનો છે. 'ટેક્નોલોજી મહત્વપૂર્ણ, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરાઈ તે વધુ મહત્વપૂર્ણ છે'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણવિદોએ વિષયો ઉપર ચર્ચા કરવાની જરૂર છે કે જેના વિશે સામાન્ય રીતે આપણે વાત કરતાં નથી. આપણે અભ્યાસક્રમ અંગે ફરીથી વિચારવાની અને સમજવાની જરૂર છે કે કેવી રીતે માનવ સંબંધો વેલ્યુ અનલોક કરે છે. ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે. આપણે જવાબદાર AI અંગે વિવિધ વિચારો રજૂ અને તેને કેવી રીતે લાગુ કરવામાં આવે તેના વિશે ચર્ચા કરીશું. 'AIનું ભવિષ્ય લેબોરેટરીઝ દ્વારા જ નિર્ધારિત થશે નહીં'આ કાર્યક્રમમાં જયા દેશમુખ અને મેકગવર્ન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. વિલાસ ઘાર વચ્ચે રસપ્રદ ચર્ચા થઇ હતી. AIની નૈતિકતા, ઉત્પાદકતા અને માનવ ઉપર પ્રભાવ વિશે વાત કરતાં ડો. ધારે જણાવ્યું હતું કે, AIનું ભવિષ્ય લેબોરેટરીઝ અથવા સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂશન દ્વારા જ નિર્ધારિત થશે નહીં. તે આ પ્રકારના સંવાદથી પણ આકાર પામશે કે જ્યાં લોકો ભેગા મળીને તેમના અનુભવો, ચિંતાઓ અને આશાઓ રજૂ કરશે. અલ્ગોરિધમ-સંચાલિત સમાજમાં અધિકારો પર ચર્ચાઆ કાર્યક્રમમાં નીતિ, અધિકારો, માર્કેટિંગ, સર્જનાત્મકતા, કૌશલ્ય અને કાર્યબળની તૈયારી ઉપર 11 ટૂંકા સંવાદનો સમાવેશ કરાયો હતો. જે પછી પ્રશ્નોત્તરી કરાઇ હતી. વક્તાઓમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના ફાઉન્ડિંગ ડાયરેક્ટર અવિનાશ દધીચ હાજર રહ્યા હતા. જેમણે અલ્ગોરિધમ-સંચાલિત સમાજમાં અધિકારો પર વાત કરી હતી અને snappin.aiના સ્થાપક અદ્વૈત માર્ડીકર ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ગ્રાહક જોડાણમાં નૈતિક AI વિશે વાત કરી હતી. પબ્લિસિસ સેપિયન્ટના ગંગા ગણપતિ અને સેન્ટિસમના વિવેક ગણોત્રા દ્વારા ઇન્ડસ્ટ્રીના દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ શેખર કપૂર, સિઓક સિઓક ટેન અને હાર્મની સિગનપોરિયા સહિતના ફિલ્મ નિર્માતાઓ અને વાર્તાકારોએ તેમના સર્જનાત્મક દ્રષ્ટિકોણ રજૂ કર્યાં હતાં. AIના યુગમાં ઓળખ, રચનાત્મકતા અને નેરેટિવ પર ચર્ચાફિલ્મ નિર્માતા શેખર કપૂરે તેમના વક્તવ્યમાં AIના યુગમાં ઓળખ, રચનાત્મકતા અને નેરેટિવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, AI આપણને મૂળભૂત પ્રશ્ન કરવા માટે પ્રેરે છે, હું કોઇ છું? આપણી વ્યક્તિત્વની ભાવના સતત પ્રકૃતિ સાથે સંઘર્ષમાં રહે છે અને આપણે તે અનિશ્ચિતતાનો સામનો કરવો જ જોઇએ. AIના યુગમાં શરૂઆતનો મુદ્દો એ સ્વીકારવાનો છે કે આપણે બધું જ જાણતા નથી.તેમણે ઉમેર્યું હતું કે, આપણે પશ્ચિમી દ્રષ્ટિકોણથી AIને જોઇએ છીએ. ભારતમાં આપણી પાસે ટેક્નોલોજી અને ઇનોવેશન છે, પરંતુ આપણે સ્ટોરીટેલિંગની જરૂર છે. આપણે સ્ટોરી દ્વારા જ વિશ્વને સમજી શકીએ છીએ. તે પ્રકારે જ અર્થને સમજી શકાય છે. કૌશલ્ય અને કાર્યબળની તૈયારી પર ચર્ચાઓમાં માઇકામાં એસોસિયેટ ડીન સુરેશ માલોડિયા, માઇકાના ચીફ ટેલેન્ટ અને સ્કિલ્સ ઓફિસર નીરજા શર્મા અને સિક્સ્થફેક્ટર કન્સલ્ટિંગના સીઇઓ હિમાંશુ વશિષ્ઠ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, સ્ટાર્ટ-અપ્સ, નાગરિક સમાજના સદસ્યો અને માઇકાના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
પુષ્કરધામ મેઈન રોડ પર અજાણ્યા શખ્સે 19 વર્ષીય યુવતીને ફ્રેન્ડશીપ કરવા માટે કહી બીભત્સ હરકત કર્યા અંગે ફ્રિયા યુનિવર્સીટી પોલીસમાં નોંધાઈ છે જેને લઇ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. બનાવ અંગે ભોગ બનનાર 19 વર્ષની યુવતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે તે ઘરે હતી ત્યારે માતાને અને તેણીને ચા પીવી હોઇ જેથી માતાએ ચા લઇ આવવાનું કહેતાં તેણી વાહન લઇ પુષ્કરધામના ગેઈટની સામે જાફર ચાની દૂકાને ચા લેવા ગઇ હતી. ત્યાંથી ચા પાર્સલ કરીને ઘરતરફ જતી હતી દરમિયાન તેણીના ટુ-વ્હીલરની પાછળ પાછળ એક બ્લુ રંગનો શર્ટ પહેરેલો શખ્સ તેના બાઈક પર ઘસી આવ્યો હતો અને તેણી પાસે આવી ખરાબ ઇશારા કરી ખરાબ ભાષામાં ફ્રેન્ડશીપ કરવા કહ્યું હતું. પરંતુ તેને ઓળખતી ન હોય અને ક્યારેય તેને જોયો ન હોય જેથી ફ્રેન્ડશીપ કરવાની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો દેવા માંડી તેની સાથે ગેરવર્તન કરવા માંડ્યો હતો જેથી યુવતી ગભરાઇ જતાં ત્યાંથી ટુવ્હીલર લઇ નીકળી ગઇ હતી અને ઘરે જઈ બનાવની જાણ પરીવારને કરી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પિતાની જાણ બહાર છકડો લઇ નીકળેલા સગીરનું અકસ્માતે મોત નીપજ્યુંરાજકોટ-અમદાવાદ હાઈવે પર સાત હનુમાન મંદિરના પાછળના ભાગે રહેતો 15 વર્ષીય રોહન ભલાભાઈ ચૌહાણ રવિવારે સવારે 10 વાગ્યા આસપાસ પિતાનો છકડો રીક્ષા લઈને ચક્કર મારવા નીકળ્યો હતો. રોહન આઇઓસી ગેસ પ્લાન્ટ પાસે પહોંચતા છકડો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી રોહનને ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા ભલાભાઈ છકડો રીક્ષાથી મંડપ સર્વિસના સામાનના ફેરા કરે છે. બનાવના દિવસે કોઈને જાણ ન હોય તેમ રોહન રીક્ષા લઈ નીકળી ગયો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દાદી પૌત્રને ગાયે ઢીંક મારતા થયા ઈજાગ્રસ્તરાજકોટ શહેરના હનુમાન મઢી પાસે છોટુનગર શેરી નં.1માં રહેતાં મંજુબેન રાજુભાઈ રાજોલીયા (ઉ.50) અને તેનો પૌત્ર શિવમ વિજયભાઈ રાજોલીયા (ઉ.વ.3) આજે બપોરે એક વાગ્યા આસપાસ ઘર પાસે હતાં ત્યારે ગાયે ઢીંક મારતા દાદી-પૌત્રને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મંજુબેન શાકભાજી વેચવાનું કામ કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પૌત્ર શિવમ ઘર નજીક આવેલી આંગણવાડીમાં ગયો હતો અને બપોરે મંજુબેન આંગણવાડીએથી પૌત્રને તેડી ઘરે આવતા હતાં ત્યારે છોટુનગરમાં મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીની ગાડી આવતાં ત્યાં રહેલા ઢોર ભાગવા લાગ્યા હતાં. જેમાં દાદી-પૌત્ર ગાયની ઢીંકે ચડી જતાં બન્નેને ઈજા પહોંચી હતી.
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વર્ષ 2022માં શાહીબાગમાં રહેતા એક વ્યક્તિએ કેસ દાખલ કર્યો હતો. જે મુજબ તેને ગુજરાત માનવ અધિકાર સંઘ સંચાલિત ચાંદખેડામાં આવેલી નવજીવન હોસ્પિટલ સામે અનફેર ટ્રેડ પ્રેક્ટિસનો દાવો કર્યો હતો. તેને જણાવ્યું હતું કે, તેને સારવાર લીધાના કોઈપણ દસ્તાવેજ કે રકમ ચૂકવવાના પાકી રસીદ અપાઈ નથી. જેથી વીમા કંપનીએ તેનો કોરોનાનો ક્લેમ સ્વીકાર્યો ન હતો. તેનો કુલ સારવાર ખર્ચ 3.31 લાખ રૂપિયા થયો હતો. જેથી વ્યાજ અને વળતરની માંગ કરવામાં આવી હતી. 3.31 લાખ રૂપિયાના બિલની રકમ ચૂકવી પણ પાકુ બિલ કે પહોંચ ન મળીફરિયાદી પોતે ન્યુ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપનીનો નિવૃત્ત કર્મચારી હતો. જેનું 15 લાખનું વીમા કવચ હતું. તેને માર્ચ, 2021માં કોરોના પોઝિટિવ આવતા નવજીવન હોસ્પિટલમાં 13 દિવસ સુધી ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લીધી હતી. તેને હોસ્પિટલમાં અમુક રકમ રોકડેથી પણ જમા કરાવી હતી. કુલ 3.31 લાખ રૂપિયાના બિલની રકમ તેણે ચૂકવી હતી પરંતુ, તેને કોઈ પણ પાકું બિલ કે પહોંચ મળી ન હતી. તેની પાસે સારવારના કોઈપણ મેડિકલ કાગળિયા પણ ઉપલબ્ધ નહોતા. તેને કોરોનાનો રિપોર્ટ અને પૈસા ચૂકવવાની કાચી પહોંચ વગેરે પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. હોસ્પિટલે ફરિયાદીએ બિલની રકમ ન ચૂકવી હોવાનો આક્ષેપ કર્યો હતોહોસ્પિટલ તરફથી રજૂઆત કરાઈ હતી કે, ફરિયાદીએ કોઈપણ રોકડ રકમ હોસ્પિટલમાં જમા કરાવી નથી કે હોસ્પિટલ દ્વારા ફક્ત રોકડેથી જ પૈસા સ્વીકારવાનો દુરાગ્રહ રખાયો નથી. તેને ખોટી પહોંચ બનાવી છે. ફરિયાદીએ હોસ્પિટલમાં ખોટો હોબાળો કર્યો હતો અને બિલ ની રકમ તેને ચૂકવી નથી. કોર્ટે નોંધ્યું હતું કે, કોરોના કાળમાં દર્દીએ ખોટી પહોંચ બનાવી હોય તેવું શક્ય નથી. કારણ કે દર્દી અને સંબંધીઓને કોરોના કાળમાં હોસ્પિટલમાં આવવા જવા ઉપર રિસ્ટ્રિક્શન હતું. વળી રકમની ચુકવણી કર્યા વગર દર્દી ઘરે ગયા હોય એવું પણ દેખાતું નથી. દર્દીને વળતર ચૂકવવા માટે કોર્ટે હુકમ આપ્યોજો દર્દીએ ખોટી પહોંચ બનાવી હોય કે રકમ ચૂકવી ન હોય તો તે સંબંધે હોસ્પિટલે દર્દી ઉપર કોઈ કાર્યવાહી કરી હોય એવું પણ દેખાતું નથી. હોસ્પિટલ દ્વારા દર્દીને ડિસ્ચાર્જ સમરી કે કેસ પેપર આપવામાં આવ્યા નથી. આથી દર્દીને વળતરના 50,000 રૂપિયા વળતર અને કાનૂની ખર્ચ 10,000 રૂપિયા હોસ્પિટલ 30 દિવસમાં ચૂકવી આપે. તેમ જ દર્દી હોસ્પિટલ દ્વારા અપાયેલા પુરાવાને આધારે વિમાનો ક્લેઈમ કરી શકશે.
વાપી કોર્ટે સોપારી લઈને કરાયેલા ડબલ મર્ડર કેસમાં કડક વલણ અપનાવ્યું છે. આર્મીમાં ફરજ બજાવતા આરોપી પંકજ રામદેવપ્રસાદ શાહની નિયમિત જામીન અરજી વાપી એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે નામંજૂર કરી છે. આ ઘટના 11 જાન્યુઆરી 2020ના રોજ વલસાડ જિલ્લાના વાપીમાં બની હતી. કેસની વિગતો અનુસાર, સહ-આરોપીએ પોતાની માતા રેખાબેનના મોબાઈલમાં વોટ્સએપ વેબ લોગિન કરીને તેમના મેસેજ વાંચ્યા હતા. પરપુરુષ સાથેના સંબંધોની જાણ થતાં તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે, સહ-આરોપીએ કુંદન મારફતે આર્મી જવાન પંકજ શાહનો સંપર્ક કર્યો હતો. રેખાબેનની હત્યા માટે 5 લાખ રૂપિયાની સોપારી નક્કી કરવામાં આવી હતી. એડવાન્સ તરીકે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જેમાંથી 49,500 રૂપિયા પંકજના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, આરોપીઓ ટ્રેન મારફતે વાપી પહોંચ્યા, જ્યાં તેમના રહેવા અને વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટનાના દિવસે, આરોપીઓ સી.બી.ઝેડ મોટરસાયકલ પર ચણોદ ચાર રસ્તા તરફ ગયા. ત્યાંથી રેખાબેનના ઘરે પહોંચી, આરોપી પંકજે પોતાની પિસ્તોલથી રેખાબેન અને અનિતાબેન પર ગોળીબાર કર્યો, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું. તપાસ દરમિયાન, પિસ્તોલ, સી.બી.ઝેડ મોટરસાયકલ અને તેની નંબર પ્લેટ પુરાવા અધિનિયમ કલમ 27 હેઠળ રિકવર કરવામાં આવી હતી. વાપી જી.આઈ.ડી.સી. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જોકે, સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે જામીન અરજી નામંજૂર કરી છે.
શહેરના વિરાટનગરમાં આવેલી સેન્ટ માર્ક સ્કૂલની સ્વેટરને લઈ મનમાની સામે આવી છે. સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા ચોક્કસ જગ્યાએથી વિદ્યાર્થીઓને સ્વેટર ખરીદવા દબાણ કરવામાં આવતું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જો ચોક્કસ કલરનું સ્વેટર ન પહેર્યું હોય અને ચોક્કસ જગ્યાએથી ન લીધું હોય તો ગેટ પર ઊભા રાખી ઉતારી દેવામાં આવતું હોવાનો પણ આક્ષેપ વાલીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં NSUI દ્વારા સ્વેટર મુદ્દે સ્કૂલને નોટિસ ફટકારી હોવા છતાં DEOની નોટિસને અવગણી સ્વેટર પહેરવા દબાણ ચાલુ રાખતા વાલીઓએ અને NSUI દ્વારા સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો હતો. શું છે સમગ્ર મામલો?થોડા દિવસ પહેલાં NSUI દ્વારા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ બે શાળાઓને વિદ્યાર્થીઓને સ્વેટર પહેરવા મુદ્દે દબાણ કરવામાં આવતા નોટિસ ફટકારી હતી. જેમાં વિરાટનગર વિસ્તારમાં આવેલી સેન્ટ માર્ક સ્કૂલને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો હતો. પરંતુ શાળા પ્રશાસન દ્વારા હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હજુ સુધી અમને કોઈ નોટિસ મળી જ નથી. જે બાદ પણ શાળા દ્વારા મનમાની ચાલુ રાખવામાં આવતા વાલીઓ અને NSUI રોષે ભરાયા હતા. ₹1100માં ગુણવત્તા હીન સ્વેટર માટે દબાણ કરતો હોવાનો આક્ષેપDEOની નોટિસને અવગણી મનમાની ચાલુ રાખતા વાલીઓ અને NSUIના કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં શાળા દ્વારા મનમાની ચાલુ રાખવામાં આવતા NSUIના કાર્યકર્તાઓએ મધ્યમ વર્ગના પરિવારને છેતરવાનું બંધ કરોના પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે, જ્યારે ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને વિદ્યાર્થીઓ શાળાએ ન આવે તો તે કઢાવી નાખવામાં આવે છે. તેમજ જે રૂપિયા 1100ના ગુણવત્તા હીન સ્વેટર માટે દબાણ કરવામાં આવતું હોવાનો વાલીઓએ દાવો કર્યો છે. વિરાટનગરમાં પૂજા સિલેક્શનમાંથી જ સ્વેટર ખરીદવાનું કહેવાય છેવાલીએ જણાવ્યું હતું કે, ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને ન આવે તો તે કઢાવી નાખવામાં આવે છે. વિરાટનગરમાં પૂજા સિલેક્શન કરીને શોપ છે ત્યાં રૂપિયા 1000 આસપાસ સ્વેટર મળે છે. જે સ્વેટર મળે છે તેના કરતા સારી ક્વોલિટીનું સ્વેટર 1000 રૂપિયામાં ઘણા સારા મળી શકે એમ છે. બીજું કોઈ જગ્યાએ સ્વેટર મળતા નથી. સ્વેટર લેવું હોય તો આ જગ્યાએથી જ લેવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રવેશ આપવામાં આવે છે પરંતુ અલગ સ્વેટર હોય તો કઢાવી નાખવામાં આવે છે. વિદ્યાર્થી અન્ય સ્વેટર પહેરીને આવે તો ઉતારી દેવામાં આવ્યા હતાNSUI નેતા ભાવિક રોહિતે જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે DEOએ નોટિસ આપી હતી. જે બાદ પણ શાળાએ વિદ્યાર્થી જ્યારે અન્ય સ્વેટર પહેરીને આવ્યા ત્યારે તે ઉતારી દેવામાં આવ્યા હતા. જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલ નહીં આવવું તેવું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું. અલગ અલગ કિંમતનું ગુણવત્તા હીન સ્વેટર આપવામાં આવે છે. 'અમને કોઈ નોટિસ આપવામાં આવી જ નથી'સેન્ટ માર્ક સ્કૂલના ક્લાર્ક રમેશ પરમારે જણાવ્યું હતું કે, અમે કોઈને ફરજિયાત કહેતા નથી. વાલીઓ ખોટી ફરિયાદ કરે છે. અમને કોઈ નોટિસ આપવામાં આવી જ નથી. અમને હજુ સુધી કોઈ નોટિસ મળી જ નથી. અમે વિદ્યાર્થીઓને કોઈ ફરજ પાડતા નથી. વાલીઓ ખોટી રીતે શાળાને બદનામ કરે છે. વાલીઓ કોઈ પૂર્વ ગ્રહ રાખીને આવું કરી રહ્યા છે. શાળાને બદનામ કરવા માટે વાલીઓ ખોટી ફરિયાદ કરે છે. પ્રિન્સીપાલ અત્યારે ટ્રેનિંગમાં ગયા છે. ક્રિશ્ચન સ્કૂલ હોવાથી બદનામ કરવામાં આવી રહી છે.
વાડજમાં રહેતા એક યુવક પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.જે બાદ પોલીસે તપાસ કરી ત્યારે એક રીક્ષાનો નંબર મળી આવતા પોલીસે તે રીક્ષાની વિગતો એકઠી કરી હતી.પોલીસને રીક્ષા ઓઢવમાંથી મળી આવી હતી.આરોપીને ઓઢવમાં પકડતી વખતે ભાગી જવાની શંકા હોવાથી પોલીસ કોન્સ્ટેબલે મીઠાખળી સુધી રીક્ષા ભાડે કરી અને પેસેન્જરના સ્વાંગમાં આરોપીને ઝડપી પાડ્યા છે.પોલીસ તપાસમાં પત્ની સાથે અણબનાવ થતાં બનેવીએ સાળાને 20,000 મારવાની સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે. આરોપીને શોધવા વાડજ પોલીસે બે ટીમ બનાવી હતીશહેરના વાડજ વિસ્તારમાં આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટ પાસે અજાણ્યા શખ્સોએ આવીને એક યુવકને માર માર્યો હતો. રીક્ષામાં આવેલા શખ્સોને શોધવા વાડજ પોલીસે બે ટીમ બનાવી હતી. પોલીસે 200થી વધુ સીસીટીવી તપાસ્યા હતા.જેમાં એક રીક્ષાનો નંબર મળી આવ્યો હતો.જે નંબર આધારે તપાસ કરતા આરોપી ઓઢવના હોવાનું સામે આવ્યુ હતું.પોલીસે રીક્ષાસ્ટેન્ડ પર વોચ ગોઠવી હતી પરંતુ આરોપી નાસી જવાની શંકા હોવાથી પોલીસકર્મી પેસેન્જર બન્યો હતો. ઓઢવથી મીઠાખળી સુધી ભાડે રીક્ષા કરીને એક આરોપીને ભાગી ન શકાય તેવા વિસ્તારમાં લાવીને છટકામાં રહેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ તમામ ચારેયની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતીપોલીસે સોપારી આપનાર જીગર દેસાઈ, સચિન પટણી, શ્યામજી પટણી અને આકાશ પટણી નામના ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, જીગર દેસાઈએ આઠેક માસ પહેલા ભોગ બનનારની બહેન સાથે લગ્ન કર્યા હતા. પાંચેક દિવસ સાસરે રહ્યા બાદ જીગરની પત્ની અણબનાવોના કારણે પરત આવી ગઇ હતી. જેથી જીગરે તેના સાળાને શબક શીખવાડવાનું નક્કી કર્યુ હતું. જે બાદ જીગરે તેના સાળાને માર મારવા માટે આરોપી સચિનને રૂપિયા 20 હજારમાં સોપારી આપી હતી. સચિને તેના મિત્ર શ્યામજી અને આકાશને રૂપિયા માર મારવા માટે રૂ. 900 આપ્યા હતા.હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ નગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી 89 જગ્યાઓ પર સીધી ભરતીને મંજૂરી મળી છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા, ગાંધીનગર ઝોન દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. આ ભરતીથી વહીવટી અને ટેકનિકલ કામગીરીમાં વેગ આવશે. નગરપાલિકાના કુલ 186 મંજૂર મહેકમ સામે આ 89 જગ્યાઓ ભરવામાં આવશે. આમાં સામાન્ય વહીવટી શાખામાં ક્લાર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર, ઓડિટર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. આરોગ્ય શાખામાં 31 સફાઈ કામદાર અને પાણી પુરવઠા શાખામાં 22 ડ્રેનેજ સફાઈ કામદારની જગ્યાઓ પણ ભરવામાં આવશે. આ ઉપરાંત, ટેકનિકલ શાખામાં મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર, વાયરમેન અને ટાઉન પ્લાનિંગ શાખામાં ટાઉન પ્લાનરની જગ્યાઓ પણ ભરવામાં આવશે. પાટણ નગરપાલિકાનો છેલ્લા ત્રણ વર્ષનો મહેકમ ખર્ચ 48 ટકાની મર્યાદામાં હોવાથી આ ભરતીને મંજૂરી અપાઈ છે. ભરતીની મંજૂરી સાથે કેટલીક શરતો પણ લાદવામાં આવી છે. નગરપાલિકાએ કોઈપણ સંજોગોમાં મહેકમ ખર્ચ 48 ટકાની મર્યાદામાં જાળવવાનો રહેશે. જો ખર્ચ આ મર્યાદાથી વધશે તો જગ્યાઓ ભરી શકાશે નહીં. સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 અને સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ હાથ ધરવાની રહેશે. ઉમેદવારોની અરજી મંગાવવા માટે નગરપાલિકાએ જાહેરાત આપવાની રહેશે. આ નવી ભરતી બાદ પાટણ નગરપાલિકાનો સંભવિત મહેકમ ખર્ચ 47.84 ટકા રહેવાની શક્યતા છે.
જામનગર જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાય.જે. વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક દુષ્કર્મના કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરી છે. PI વાય.જે. વાઘેલા હાલમાં LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) શાખામાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ)માં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સસ્પેન્શન ધ્રોલ તાલુકાના એક ગામે બનેલા દુષ્કર્મના કેસ સાથે સંબંધિત છે. પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના આદેશ મુજબ, PI વાઘેલાએ આ ગંભીર કેસની તપાસમાં જરૂરી ગંભીરતા અને કાળજી દાખવી ન હતી, જેના કારણે તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથ SOGએ એક જ નંબર પ્લેટનો અલગ-અલગ મોપેડમાં દુરુપયોગ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વેરાવળના રહેવાસી 44 વર્ષીય હસમુખભાઈ ઉર્ફે લાલાભાઈ કાનજીભાઈ ડોલરીયા વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી પોતાની સુઝુકી બર્ગમેન મોપેડ (રજી. નં. GJ-32-AH-5586) નો આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર તેના ભાણેજની કાળા રંગની ટીવીએસ જુપિટર 125 મોપેડ પર લગાવીને તેનો ઉપયોગ કરતો હતો. આરોપીનો મુખ્ય ઈરાદો પોલીસ, આર.ટી.ઓ. અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો હતો. આ ઉપરાંત, ખોટી નંબર પ્લેટવાળી ટીવીએસ જુપિટર મોપેડ પર બેન્કની લોન ચાલુ હોવા છતાં તેના હપ્તા ન ભરી ફાઇનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત કરવાનો પણ તેનો પ્રયાસ હતો. SOG ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડાની આગેવાની હેઠળ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પો.કોન્સ્ટેબલ કૈલાશસિંહ બારડ અને મહાવિરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે વેરાવળ ભોય સમાજની વાડી સામે આવેલી “દીપ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ” દુકાન નજીકથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. SOG ટીમે બંને મોપેડ જપ્ત કરી છે.ગીર સોમનાથ પોલીસે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને વાહન સંબંધિત દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરવા અપીલ કરી છે.
સુરતના રત્નકલાકાર યુવકને પ્રેમજાળમાં ફસાવીને નાણાં ખંખેરનારી ટોળકીની એક યુવતી સહિત બે આરોપીને સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં આરોપીઓને પકડવા માટે પોલીસે વેશપલટો કરીને વોચ ગોઠવી હતી, જેમાં મુખ્ય આરોપી જેવો સિગરેટ પીવા માટે આવ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. લુટેરી દુલ્હન સહિત અન્ય એક શખ્સને પકડ્યાસુરત કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલી સાવધાની રાખે, પણ તેની કોઈને કોઈ નાની ભૂલ કે આદત તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં નોંધાયેલા 'લુટેરી દુલ્હન'ના કેસમાં પણ આવું જ કંઈક બન્યું. મહારાષ્ટ્રના બોઈસરમાં છુપાયેલા આરોપીને પકડવા માટે પોલીસ માટે તેની સિગારેટ પીવાની આદતથી દબોચી લીધો હતો. મિત્રએ વોટ્સએપ પર ફોટો મોકલ્યો ને યુવક છેતરાયોસુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા એક યુવાન માટે લગ્નએ જીવનનું સૌથી મોટું સપનું હતું. વધતી ઉંમર સાથે યોગ્ય પાત્ર ન મળતા પિતાએ મિત્ર વર્તુળમાં વાત કરી હતી. આ દરમિયાન એક શુભચિંતક મિત્રએ વોટ્સએપ પર રેખાદેવી યાદવ નામની યુવતીનો ફોટો મોકલ્યો. ફોટો જોતા જ યુવાન મોહિત થઈ ગયો અને પરિવારે લગ્નની મંજૂરી આપી દીધી. કોને ખબર હતી કે આ સુંદર ચહેરો એક મોટી લૂંટનું મહોરું છે? લગ્ન માટે 1.30 લાખ ચૂકવ્યાલગ્નની વાત નક્કી કરવા યુવાન અને તેના પિતા મુંબઈના દહીસર ખાતે ગયા. ત્યાં રેખાદેવીના કથિત સંબંધીઓ અશ્વિન અને અજય ઉર્ફે સોનું ગુપ્તાએ લગ્ન માટે રૂ. 1.30 લાખની માગણી કરી. ભોળા પરિવારે દીકરાના ઘર વસાવવાના આશયથી આ રકમ ચૂકવી દીધી. યુવતીએ સુરત છોડ્યુને ફોન સ્વીચ ઓફવિધિવત ફુલહાર સાથે લગ્ન થયા, મંગળસૂત્ર પહેરાવાયું હતું, પણ આ ખુશી માત્ર 48 કલાક જ ટકી હતી. લગ્નના બીજા જ દિવસે રેખાદેવીએ પ્રોપર્ટીના કામનું બહાનું કાઢી વતન જવાની જીદ કરી અને જેવી સુરત છોડ્યું કે તરત જ ફોન સ્વીચ ઓફ કરી દીધો. મહારાષ્ટ્રમાં ઘર ખાલી મળ્યું ત્યારે યુવકને ઝાટકો લાગ્યોપત્નીનો સંપર્ક ન થતા યુવાન ગભરાઈને મહારાષ્ટ્ર સ્થિત તેના ઘરે પહોંચ્યો, પરંતુ ત્યાં જઈને જોયું તો મકાન ખાલીખમ હતું. પાડોશીઓ પણ કંઈ જાણતા નહોતા. યુવાનને સમજાઈ ગયું કે તે એક વ્યવસ્થિત રીતે આયોજિત 'લુટેરી દુલ્હન' ગેંગનો શિકાર બન્યો છે. તેણે તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. સુરત પોલીસ આરોપીને પકડવા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર પહોંચીપીઆઈ એન.જી. ચૌધરીની ટીમે તપાસ હાથ ધરી. ટેકનિકલ એનાલિસિસમાં જાણવા મળ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર વિસ્તારમાં છુપાયેલા છે. પોલીસ ટીમ બોઈસર પહોંચી ત્યારે પડકાર મોટો હતો. જો પોલીસ તરીકે ઓળખ આપે તો આરોપીઓ નાસી જાય તેમ હતા. આથી, પોલીસે ફિલ્મી સ્ટાઈલ અપનાવી. અવધનગર વિસ્તારની એક ચાની લારી પર પોલીસ જવાનોએ મિત્રતા કેળવી અને ત્યાં આવતા-જતા લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું. ચાની લારીવાળાને પણ વિશ્વાસમાં લીધો અને ફોટા બતાવી બાતમી મેળવી હતી. સિગારેટ પીવા આવ્યો ને સુરત પોલીસે દબોચ્યોસતત વોચ દરમિયાન, રેખાદેવીનો કહેવાતો બનેવી અજય ઉર્ફે સોનું ગુપ્તા એક કરિયાણાની દુકાને સિગારેટ પીવા આવ્યો. પોલીસે તક ઝડપી તેને દબોચી લીધો. તેની કડક પૂછપરછમાં રેખાદેવીનું સરનામું મળ્યું અને અંતે પોલીસે 'લુટેરી દુલ્હન'ને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધી. બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
દમણના સ્થાનિક ફૂટબોલ ખેલાડીઓએ સંતોષ ટ્રોફી સિલેક્શનમાં કથિત ગેરરીતિઓ અને સ્થાનિક પ્રતિભાઓની અવગણના સામે આજે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓએ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી. ખેલાડીઓએ સંઘપ્રદેશ ફૂટબોલ એસોસિયેશન પર સંતોષ ટ્રોફીના સિલેક્શન ટ્રાયલ્સમાં 'રોંગ પ્રેક્ટિસ' અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10-15 વર્ષથી એસોસિયેશન દ્વારા પ્રદેશના સ્થાનિક ખેલાડીઓની અવગણના કરીને બહારના ખેલાડીઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આક્ષેપ મુજબ, હાલમાં પણ કેટેગરી-2 અને કેટેગરી-3ના નિયમોનો દુરુપયોગ કરીને બહારના ખેલાડીઓના ખોટા એફિડેવિટ બનાવવામાં આવી રહ્યા છે અને તેમને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેલાડીઓએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે, આમાંથી ઘણા ખેલાડીઓએ તો ટ્રાયલ્સમાં પણ હાજરી આપી ન હતી. એક તરફ પ્રદેશના પ્રશાસક રમતગમત માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિઝન 2047' અંતર્ગત ભારતને ફિફા માટે તૈયાર કરવાનું લક્ષ્ય છે, ત્યારે સ્થાનિક ફૂટબોલ એસોસિએશન સેલવાસ, ખાનવેલ અને દીવના 300 થી 500 જેટલા સક્ષમ અને નેશનલ લેવલે રમી ચૂકેલા સ્થાનિક ખેલાડીઓને તક આપવાને બદલે અન્યાય કરી રહ્યું છે. ખેલાડીઓની સ્પષ્ટ માંગ છે કે, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે. 18 ખેલાડીઓની ટીમમાં સ્થાનિક યુવાનોને જ તક આપવામાં આવે, ખોટા એફિડેવિટથી રમતા ખેલાડીઓનું સિલેક્શન રદ કરવામાં આવે અને વર્ષોથી ચાલી આવતી આ પ્રથાઓ બંધ કરવામાં આવે, જેથી પ્રદેશના સાચા ટેલેન્ટને ન્યાય મળી શકે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા બીલીયા ગામમાં મનરેગા હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર અને નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ અંગે બીલીયા ગામના જાગૃત નાગરિક દશરથભાઈ પટેલ અને અન્ય અસરગ્રસ્ત ગ્રામજનોએ એકઠા થઈ વિજાપુર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી છે. શ્રમિકોના ખાતા ખોલાવી નાણાં જમા કર્યા બાદ ઉપાડી લેવાયાઆવેદનપત્રમાં ગ્રામજનોએ ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ગામના અનેક શ્રમિકો પાસે મનરેગા યોજનાના જોબ કાર્ડ હોવા છતાં તેઓએ ક્યારેય કોઈ કામ કર્યું નથી કે મજૂરી મેળવી નથી. આમ છતાં આ નાગરિકોની જાણ બહાર તેમના નામે બેંક ખાતાઓ ખોલાવી દેવામાં આવ્યા છે. સરકારી દફતરે આ શ્રમિકોએ કામ કર્યું હોવાનું દર્શાવી તેમના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવે છે અને તરત જ તે નાણાં ઉપાડી લેવામાં આવે છે. આ બેંક ખાતાઓ કોણ ઓપરેટ કરે છે અને નાણાંનો વહીવટ કોણ સંભાળે છે તે અંગે પીડિત ગ્રામજનો સંપૂર્ણપણે અજાણ છે. ગરીબ નાગરિકોના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યોગ્રામજનોના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રકરણમાં લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાની આશંકા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, આ એક સુવ્યવસ્થિત કૌભાંડ છે જેમાં સરકારી યોજનાનો દુરુપયોગ કરી ગરીબ નાગરિકોના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ બાબતે પુરાવા તરીકે ગ્રામજનો પોતાના જોબ કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજો રજૂ કરવા પણ તૈયાર છે. આ મામલે 'ન્યાય કમિટી'ની રચના કરવામાં આવેઆ અંગે દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ કૌભાંડથી ગામના સામાન્ય નાગરિકો છેતરાયા છે અને સરકારી તિજોરીને નુકસાન થયું છે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ મામલે તાત્કાલિક અસરથી 'ન્યાય કમિટી'ની રચના કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ સંડોવાયેલા શખસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ભારતીય T-20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તાજેતરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં પણ સૂર્યાનું બેટ ચાલ્યું નહોતું. આ પહેલાની મેચોમાં પણ સૂર્યા એવું પ્રદર્શન કરી શક્યો નથી, જેના માટે તે જાણીતો છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવે 20 મેચોની 18 ઇનિંગ્સમાં 14.20ની એવરેજથી માત્ર 213 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 125નો છે અને તેના બેટથી કોઈ ફિફ્ટી પણ નથી આવી. સૂર્યાનું આઉટ ઓફ ફોર્મ હોવું ટીમ માટે ચિંતાની વાતસૂર્યકુમાર યાદવનું આઉટ ઓફ ફોર્મ હોવું ભારત માટે ચિંતાની વાત છે, પરંતુ કેપ્ટન સૂર્યા પોતાના ફોર્મને લઈને ચિંતિત નથી. સૂર્યાનું કહેવું છે કે આ તેના માટે લર્નિંગ સ્ટેજ છે. હું અત્યારે તે જ કરી રહ્યો છું. તેણે એમ પણ કહ્યું કે ટીમના 14 અન્ય ખેલાડીઓ મારી ખોટ પૂરી કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવે આ નિવેદન અમદાવાદ સ્થિત GLS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. આ દરમિયાન કેપ્ટન સૂર્યાએ લર્નિંગ પ્રોસેસ વિશે બાળકોને સારી શીખ આપી. કેપ્ટન બોલ્યો- આ શીખવાની પ્રક્રિયા છેકેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, 'એક ખેલાડી હંમેશા સારા સમયમાં નથી રહેતો. હું એવું નથી કહી રહ્યો કે અમે ખરાબ સમયમાંથી પસાર થઈએ છીએ. આ એક શીખવાની પ્રક્રિયા છે. હંમેશા એક એવો તબક્કો આવે છે જ્યારે તમને લાગે છે કે તમે શીખવાના સમયગાળામાં છો. મારા માટે પણ આ તે જ શીખવાનો સમયગાળો છે.' સૂર્યકુમાર યાદવ બોલ્યો- જે દિવસે હું બ્લાસ્ટ થઈશ...સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું, 'થોડું ઉતાર-ચઢાવ રહ્યું છે. મારી સાથે અન્ય 14 ખેલાડીઓ આ સમયે મારા માટે કવર કરી રહ્યા છે. તેમને ખબર છે કે જે દિવસે હું બ્લાસ્ટ થઈશ, ત્યારે શું થશે, એતો તમને બધાને પણ ખબર છે.' સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેનું માનસિક વલણ અત્યારે પણ સંપૂર્ણ રીતે સકારાત્મક છે. વધુ સારા પ્રદર્શન સાથે વાપસીની ઈચ્છાકેપ્ટન સૂર્યાએ ત્યાં હાજર વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું, 'વિચારો, જો તમારી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો શું તમે સ્કૂલ છોડી દો છો? ના, તમે ફરીથી મહેનત કરો છો અને સારા માર્ક્સ લાવો છો. હું પણ તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું વધુ સારા પ્રદર્શન સાથે વાપસી કરવા માગુ છું.' કેપ્ટન સૂર્યાએ આ વીડિયોમાં જે નિખાલસતાથી પોતાના ખરાબ સમય વિશે વાત કરી અને જે રીતે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા તે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યું છે.
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા સશક્ત નારી મેળામાં લાગેલા મહાસેલનો લાભ લેવા માટે ઉમટેલા નગરજનોની ભીડને ધ્યાને રાખીને તંત્રને તેને બે દિવસ વધારવો પડ્યો છે. હવે આ મેળો તા.24 સુધી ચાલશે. મેળાના પ્રથમ બે દિવસમાં અંદાજે 10 લાખની વસ્તુઓનું વેચાણ થયું છે. વિવિધ સખી મંડળો દ્વારા નિર્મિત વિવિધ પ્રકારની વસ્તુઓ બજારની સાપેક્ષે સાવ સસ્તા દરે મળતી હોવાના કારણે મુલાકાતીઓની ભીડ લાગે છે. અકોટા સ્ટેડિયમમાં સશક્ત નારી મેળો યોજાયોજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યું કે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઉપરાંત સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અકોટા સ્ટેડિયમમાં સશક્ત નારી મેળો યોજાઇ રહ્યો છે. જેમાં 110 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. મહિલાઓ દ્વારા નિર્મિત વસ્ત્ર પરિધાન, ખાદ્ય પદાર્થો જેવા પાપડ, અથાણા, વિવિધ પ્રકારના તેલ, ઔષધો, શણગાર માટેના આભૂષણો, ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સશક્ત નારી મેળામાં મહિલાઓ દ્વારા જ નિર્મિત વસ્તુઓ મળતી હોવાથી તેમાં ગુણવત્તાની ખાતરી મળે છે. વળી, બજાર કરતા સાવ સસ્તા દરે વસ્તુઓ મળે છે. આ બાબતનો ખ્યાલ બે દિવસમાં લાગેલી ભીડને જોઇને લગાવી શકાય છે. બે દિવસમાં 10 લાખની વસ્તુઓનું વેચાણતેમણે કહ્યું કે, મેળાના પ્રથમ બે દિવસ એટલે કે તા. 20 અને તા. 21ના રોજ મુલાકાતીઓની ભીડ લાગી હતી. પ્રથમ દિવસે અંદાજે રૂપિયા ચારેક લાખ અને બીજા દિવસે અંદાજે રૂપિયા છ એક લાખની વસ્તુઓનું વેચાણ થયું છે. એના કારણે મહિલાઓને ફાયદો થયો છે. આ મેળામાં મહિલાઓ માટે અનેક પ્રકારની વસ્તુઓ હોવાથી મહિલાઓ વિશેષ મુલાકાત લઇ રહી છે. ખાસ કરીને ડાંગ તરફથી આવેલા સખી મંડળો દ્વારા ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તેમાં રાગીના રોટલા સહિતની આદિવાસી વ્યંજનોની મળે છે. સ્વાદપ્રિય લોકો આ આદિવાસી વ્યંજનોનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. બહોળા પ્રતિસાદને ધ્યાન રાખીને આ મેળાને બે દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મેળો તા. 23 અને તા. 24 ડિસેમ્બરના રોજ પણ ચાલશે.
આજે નાના બાળકો પ્રત્યે કાળજી રાખવી ખૂબ જ જરુરી બની છે કારણ કે, દિવસેને દિવસે અવનવા કિસ્સા પ્રકાશમાં આવી થયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશથી શ્વાસ લેવામાં તકલીફ થતા એક બાળકને વધુ સારવાર માટે લાવવામાં આવે છે. આ બાળકના રિપોર્ટ કરતા શ્વાસનળીમાં મગફળીનો દાણો ફસાયો હોવાનું સામે આવતા તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. 4 વર્ષનું બાળક રમતા-રમતા બીયા ખાઈ ગયુંસયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશના સોઢવા ગામે ચાર વર્ષનું બાળક રમતા-રમતા કોઈ બીયા ખાઈ ગયું હતું. તેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સારવાર માટે પ્રથમ અલીરાજપુર અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સફળ ઓપરેશન કરી બીયુ બહાર કાઢવામાં આવ્યું છે. સયાજી હોસ્પિટલમાં ડૉક્ટરે સર્જરી કરી દાણો બહાર કાઢ્યોઆ બાળકની ઉંમર ચાર વર્ષ છે અને તે મધ્યપ્રદેશના અલીરાજપૂરા જિલ્લાના સોઢવા ગામે રજવાની પટેલ ફળિયામાં રહેતા રાકેશ જોગટીયાનો ચાર વર્ષનો દીકરો ગત 21મી તારીખે બાળક રમતા રમતા કોઈ બીયા ખાઈ ગયું હતું. તેથી તેને અલીરાજપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને શ્વાસ લેવામાં તક્લીફ પડતી હોવાથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા સફળ સર્જરી કરી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો છે. હાલમાં બાળકની સ્થિતિ સારી છે અને હાલમાં બાળરોગ વિભાગમાં તે તબીબોની દેખરેખ હેઠળ છે. ત્યારે જો તમારા ઘટના પણ નાના બાળકો હોય તો તેઓની પાસે નાની નાની ચીજવસ્તુઓ ક્યારે પણ આસપાસ ન મૂકો અને હાથમાં તેને રમવા માટે પણ ન આપવી જોઈએ.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ને નબળી પાડવાના આરોપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના મૂલ્યો અને શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે યોજાયો હતો. જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાંની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી વાહનોમાં બેસાડ્યા હતા. અંદાજે 50 જેટલા કાર્યકર્તાઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બાદ પણ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા. સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ જમીન પર બેસી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. આખરે પોલીસે તેમને ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ ડિટેન કર્યા હતા. કોંગ્રેસ દ્વારા મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે વિરોધ યથાવત્ રાખવાની ચીમકી આપવામાં આવી છે. આ વિરોધ કેન્દ્ર સરકારના તાજેતરના વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલને લીધે ઉભો થયો છે, જે મનરેગાને બદલે છે અને વિપક્ષ દ્વારા તેને યોજનાને નબળી પાડવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંચાલિત સુરેન્દ્રનગર શાખાના ધોરણ 6, 7 અને 8ના આશરે 70 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ અંતર્ગત તેમણે સ્થાનિક પોલીસ વહીવટી તંત્રની કામગીરી સમજવા માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, સબ જેલ અને 'નેત્રમ' (CCTV કંટ્રોલ રૂમ) શાખાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ સૌપ્રથમ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ તેમને FIR (પ્રથમ માહિતી અહેવાલ), લોકઅપ, શસ્ત્રાગાર અને પોલીસની રોજિંદી કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સંવાદનો હેતુ વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર કરવાનો અને તેમને કાયદાનું સન્માન કરતા શીખવવાનો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર સબ જેલની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેલર ગોપાલ વણઝારાએ કેદીઓ માટેની વ્યવસ્થા, જેલના નિયમો અને શિસ્તબદ્ધ જીવન વિશે જાણકારી આપી હતી. અહીંથી વિદ્યાર્થીઓને ગુનાખોરીથી દૂર રહી આદર્શ નાગરિક બનવાની પ્રેરણા મળી હતી. મુલાકાતનો સૌથી રોમાંચક ભાગ 'નેત્રમ' શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) રહ્યો હતો. વિદ્યાર્થીઓએ શહેરના ખૂણે-ખૂણે લાગેલા CCTV કેમેરા દ્વારા કેવી રીતે નજર રાખવામાં આવે છે અને ટ્રાફિક નિયમન તેમજ ગુના શોધવામાં ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે, તેનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. ગુરુકુલના આચાર્ય પિયુષ સાવલિયાના જણાવ્યા અનુસાર, પુસ્તકિયા જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓને સામાજિક વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુથી આ વિઝિટનું આયોજન કરાયું હતું. સંસ્થાએ જિલ્લા પોલીસ તંત્રના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સોનું ફરી ઑલ ટાઈમ હાઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા
Gold And Silver Price : 22 ડિસેમ્બરના રોજ કિંમતી ધાતુઓના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનું ફરી ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. સોનાની કિંમત : ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,191 રૂપિયાનો વધારો થતા તે 1,33,970 રૂપિયા પર પહોંચી ગયું છે. ચાંદીની કિંમત : ચાંદી પણ પ્રતિ કિલો 7,660 રૂપિયા મોંઘી થઈને 2,07,727 રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શન કેન્દ્ર સરકારની નીતિઓ અને મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાયદાના નામ બદલવા સામે વિરોધ દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું. હિંમતનગરના મોતીપુરા ચોકડી ખાતે ગાંધીજીની પ્રતિમા સમક્ષ આ ધરણા યોજાયા હતા. જેમાં જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાયદા (MGNREGA)નું નામ બદલીને 'જી રામજી' રાખવા અને ગેરંટી કાયદાને સમાપ્ત કરવાના પ્રયાસોનો સખત વિરોધ કર્યો હતો. તેમનો આરોપ હતો કે આનાથી ગરીબ, શ્રમિક અને વંચિત સમાજને રોજગારથી વંચિત રાખવામાં આવશે. આ ઉપરાંત, મહાત્મા ગાંધીના અપમાન અને કેન્દ્ર સરકારની અન્ય નીતિઓ સામે પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે સરકારની આ નીતિઓ સામાન્ય જનતાના હિતમાં નથી. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજીનો 102મો જન્મદિવસ અંતર્ગત 'સોનલ બીજ'ની ઉજવણી કરાઈ હતી. આ સતત 27મું વર્ષ હતું જ્યારે સમાજે આ ઉત્સવની ઉજવણી કરી. આ પ્રસંગે માતાજીની સ્તુતિ, આરતી, આરાધના, સંતવાણી અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ રમેશદાન બાટી, અજયસિંહ રાણા, તૃપ્તિબેન જાની, ભૂપેન્દ્ર ગઢવી, ડો. હસમુખ ગઢવી, ખોડીદાન ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણ જાડિયા અને સંજય ગઢવી સહિત અનેક આગેવાનો અને સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા ડાયરામાં સોનલ બારોટ દ્વારા માતાજીના છંદ, દુહા, ગરબા અને ભજનોની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી, જેણે વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું. આઈ શ્રી સોનલ માતાજીએ ચારણ સમાજમાં શિક્ષણ, વ્યસનમુક્તિ અને કુરિવાજોના નિવારણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના અવતરણ દિવસ નિમિત્તે યોજાયેલો આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને શ્રદ્ધાના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
અમરેલી જિલ્લાના 602 ગામોના 1,27,889 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહ્યો છે. આ યોજનાથી ખેડૂતોને રાત્રિના સમયે સિંચાઈ કરવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. અગાઉ મોટાભાગના ખેડૂતોને રાત્રિના સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો. જેના કારણે તેમને રાત્રિના ઉજાગરા કરવા પડતા હતા. અમરેલી જિલ્લો ગીર વિસ્તારમાં આવતો હોવાથી જંગલી પ્રાણીઓનો ભય પણ રહેતો હતો. રાત્રિના સમયે ક્યારો તૂટી જાય તો તેને રિપેર કરવામાં પણ મુશ્કેલી પડતી હતી, જેનાથી ખેડૂતોના આરોગ્ય પર પણ અસર થતી હતી. પીઠવાજાળના ખેડૂત જગદીશભાઈ દૂધાત, જે 20 વીઘા જમીનમાં ખેતી કરે છે, તેમણે જણાવ્યું કે, ખેતીકામ શરૂ કર્યું ત્યારથી તેમને રાત્રે જ પાણી વાળવું પડતું હતું. દિવસ દરમિયાન વીજળી ન મળવાના કારણે તેમને રાત્રિના ખેતરમાં ઉજાગરા કરી પરિશ્રમ કરવો પડતો હતો. કિસાન સૂર્યોદય યોજના અમલમાં આવતા જગદીશભાઈ અને તેમના જેવા લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. જગદીશભાઈએ જણાવ્યું, દિવસે વીજળી મળવાથી પશુઓના ભય અને રાત્રિના ઉજાગરમાંથી મુક્તિ મળી છે. રાત્રિના વીજળી મળતી હોવાથી ગામડે વાડીએ જવું પડતું હતું, આરોગ્ય પર અસર થતી અને વોલ્ટેજ પણ ઓછા વત્તા રહેતા હતા. દિવસે નિશ્ચિત સમય વીજ પુરવઠો મળવાથી આ સમસ્યાનું નિવારણ આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અમરેલી કાર્યાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના કુલ 1,27,889 ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ પૈકી 82,604 ખેડૂતોને સિંગલ શીફ્ટમાં અને 45,285 ખેડૂતોને બે શીફ્ટમાં દિવસે વીજળી આપવામાં આવે છે. આ અંગે અમરેલીના ખેડૂત અરવિંદ પોકળે જણાવ્યું કે, હાલ મારે 7 વીઘા જમીનમાં ઘઉ છે. શહેરની ભાગોળે આવેલી જમીનમાં હું દિવસે પાણી વાળી શકું છું. દિવસે વીજળી હોવાથી પાણીનો બગાડ પણ થતો નથી અને ક્યારો ફૂટે તો નરી આંખે જોઈ શકાય છે. આ યોજના ખેડૂતો માટે આશિર્વાદ સમાન છે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના ખેતી ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ડીઝલ પંપ કે અન્ય વૈકલ્પિક સાધનો પર થતો ખર્ચ હવે બચી રહ્યો છે. સાથે જ ખેતી યંત્રોનો યોગ્ય અને સમયસર ઉપયોગ શક્ય બન્યો છે, જેનાથી ખેતી વધુ વ્યવસ્થિત અને લાભદાયી બની છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ નજીક વહેલી સવારે એક નર્સિંગ કોલેજની બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. શિવપુરી સ્થિત પ્રેરણા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગની આ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેરણા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગની બસ વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી. ગોધરા તાલુકાના વિંઝોલ ગામ પાસેથી પસાર થતી વખતે બસના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા બસ અનિયંત્રિત બનીને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ ઘટનાને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે કોઈ પણ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતા કોલેજ પ્રશાસન અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.
સુરત શહેરના પુણા વિસ્તારમાં આજે આગની એક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાં એક મકાનના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગને જોઈને સ્થાનિકોનું ટોળું ઉમટી પડ્યું હતુંપુણા વિસ્તારમાં આવેલી હરેકૃષ્ણ સોસાયટીના મકાન નંબર-35માં બીજા માળે બનાવવામાં આવેલા એક રૂમમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અડધો કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે આગની જાણ થતા જ પુણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની 3 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી અડધો કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘરવખરી અને અન્ય કિંમતી સામાન બળીને રાખ થઈ ગયોઆગની આ ઘટના સમયે ટેરેસ પર બનેલા રૂમમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે, આગ એટલી પ્રચંડ હતી કે રૂમમાં રહેલી ઘરવખરી અને અન્ય કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ ઓલવાઈ ગયા બાદ રહીશો અને ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આવતીકાલે 23 ડિસેમ્બર 2025, મંગળવારે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાશેઆ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 11,607 નવનિયુક્ત ઉમેદવારોને સત્તાવાર રીતે પોલીસ દળમાં જોડાવાનો અવસર મળશે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે, જ્યારે પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ ખાસ ઉપસ્થિતિ તરીકે હાજર રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરશે. લોકરક્ષક કેડરની આ ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 8,782 પુરૂષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલના તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરેલા 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જ્યારે પસંદગી પામેલા 292નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે. 3,591 જગ્યાઓ માટે નવી ભરતીની પણ જાહેરાત કરી છેઉલ્લેખનીય છે કે આ ભરતી પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળમાં ખાલી રહેલી વધુ 13,591 જગ્યાઓ માટે નવી જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતત ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારની પારદર્શક અને યુવાનલક્ષી નીતિને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેમજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
રશિયામાં દગાથી સેનામાં સામેલ કરાયો- યુવક રશિયામાં અભ્યાસ કરવા ગયેલા મૂળ મોરબીના યુવકને રશિયન સેનામાં જબરદસ્તી સામેલ કરી દેવાયો. યુવકે પોતે વીડિયો બનાવીને આ વાતની જાણકારી આપી.દીકરાને પરત લાવવા માતાએ સરકારને વિનંતી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાઘવજી પટેલના AI એડિટેડ ફોટો વાયરલ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના સાડી પહેરેલા એઆઈ જનરેટેડ ફોટો પર ભ્રષ્ટાચારનું ઘર લખેલી એફબી પોસ્ટ વાયરલ થઈ.જે મામલે રાઘવજી પટેલે ફરિયાદ નોંધાવી છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો' કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસ કર્મીને સંભળાવી દીધું.. જૂનાગઢના ગડુ પાસે અકસ્માતની નોંધ કરતા પોલીસે મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કર્યો. જેનાથી વિમલ ચૂડાસમા ગુસ્સે ભરાયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાત વર્ષની બાળકીની દીક્ષા મોકૂફ રાખવા આદેશ સુરતમાં સાત વર્ષની દીકરીની દીક્ષા મોકૂફ રાખવાનો કોર્ટે આદેશ કર્યો.માતા દીકરીને દીક્ષા અપાવવા માગતી હતી, જો કે પિતાએ દાવો કર્યો હતો કે તેની સહમતિ અને જાણ બહાર દીક્ષાનો નિર્ણય લેવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બિલાડી સાથે યુવકને આચરી બર્બરતા અમદાવાદમાં યુવકે બિલાડી સાથે બર્બરતા આચરી..વાડજના ખુલ્લા મેદાનમાં યુવક બંધ કોથળામાં બિલાડીને લઈને આવ્યો અને તેને પછાડી .. બાદમાં બહાર કાઢીને મોટો પથ્થર બિલાડીને માર્યા...યુવકનું કહેવું છે બિલાડીના કારણે પત્નીને ઈજા પહોંચતા તેણે આ કૃત્ય કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે કાર-ટેમ્પોની ટક્કરમાં એક વર્ષનું બાળક જીવતું સળગ્યું કચ્છના ભચાઉ નજીક બે કાર-ટેમ્પોની ટક્કર બાદ બ્લાસ્ટ થયો જેમાં એક વર્ષનું બાળક જીવતું સળગ્યું. અકસ્માતગ્રસ્ત વાહનોની સાથે પાછળથી આવી રહેલા બે ટ્રેલર અથડાયા. જેમાં ટ્રેલર ચાલકનું પણ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવન્થ ડેનો ચાર્જ DEOએ સંભાળતા જશ્ન વિદ્યાર્થીના હત્યા બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે.. DEOએ વહીવટદાર તરીકે ચાર્જ લેતા વાલીઓએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 વર્ષ પછી વાંકાનેરમાં યોજાઈ રહ્યો છે ભવ્ય અશ્વ શો વાંકાનેરમાં 26થી 28 ડિસેમ્બર સુધી 17માં કામા અશ્વ શો અને રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 280 અશ્વનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ શો માટે 15 એકરનું વિશાળ મેદાન તૈયાર કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં હજુ નથી જામ્યો શિયાળો ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં રાજ્યમાં નલિયા સિવાય એવું કોઈ શહેર નથી જ્યાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હોય..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જો કે 23 ડિસેમ્બર પછી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ખારાઘોડામાં આશરે રૂ. 25 કરોડનું 2 લાખ મેટ્રિક ટન મીઠું ફસાયું છે. કુડાથી ધ્રાંગધ્રા વચ્ચે નર્મદા કેનાલનો બ્રિજ બંધ થવાથી અને ડાયવર્ઝન પર SRP બંદોબસ્ત ગોઠવાતા મીઠાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે મે મહિનામાં મીઠું ખેંચવાની સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રણમાંથી ખારાઘોડા આવવા-જવાનો રસ્તો બંધ થયો હતો. પરિણામે, આશરે રૂ. 30 કરોડનું મીઠું ધ્રાંગધ્રા નજીક કુડાના નિમકનગર ખાતે લઈ જઈને ગંજા બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, તંત્ર દ્વારા ધ્રાંગધ્રા-કુડા વચ્ચેનો નર્મદા કેનાલ બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ કરાયો છે. આ બ્રિજનું સમારકામ હજુ સુધી શરૂ થયું નથી. સ્થાનિક લોકોએ એક કાચું ડાયવર્ઝન બનાવ્યું હતું, જેના દ્વારા કુડાના નિમકનગરથી ખારાઘોડા ટ્રકો મારફતે મીઠું લાવવામાં આવતું હતું. જોકે, તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી આ ડાયવર્ઝન પણ બંધ કરી દેવાયું છે અને SRP જવાનોનો બંદોબસ્ત ગોઠવી રસ્તો સંપૂર્ણપણે બંધ કરાયો છે. આ સ્થિતિને કારણે ખારાઘોડાના વેપારીઓનું આશરે રૂ. 25 કરોડનું 2 લાખ મેટ્રિક ટન મીઠું હજુ પણ કુડાના નિમકનગરમાં પડ્યું છે. અગરિયાઓને નાણાં ચૂકવવા માટે આ મીઠું ખારાઘોડા લાવીને વેચવું વેપારીઓ માટે અનિવાર્ય છે, જેથી મીઠું ફસાઈ જતાં તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિંગોર રબારીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, તંત્રના આ નિર્ણયથી મીઠું અન્ય કોઈ જગ્યાએ વેચી શકાય તેવો કોઈ રસ્તો ઉપલબ્ધ નથી. તેમણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને ચેતવણી આપી છે કે, જો તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રકો ચાલી શકે તેવો રસ્તો ચાલુ કરવામાં નહીં આવે તો મીઠાના વેપારીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગે નર્મદા વિભાગના પરમારભાઈએ જણાવ્યું કે, આ બ્રિજ બનાવવા માટે કેનાલનું પાણી બંધ કરવું પડે એમ છે, અને જો પાણી બંધ કરીએ તો ખેડૂતોને તકલીફ પડે એમ છે, એટલે આ કામ કરવામાં વિલંબ થયો છે.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં હાલ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ચાલી રહ્યો છે. 21થી 29 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં ભક્તોને એક જ જગ્યાએ ચારધામ સહિતના ભારતના તમામ તીર્થોના દર્શન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વિશાળ હિમાલય પર્વતની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. મહેલમાં પ્રવેશ કરતા હોય એવી અનુભૂતિ થશેવડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં હાલ હજારોની સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ ઉભરાયો છે. અહીં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે કથા સાંભળવા માટે લોકો ઉમટી રહ્યા છે. નવલખી ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ વિશાળ પ્રવેશદ્વાર તૈયાર કરાયો છે. જે જોઇને તમને કોઇ મહેલમાં પ્રવેશ કરતા હોય એવી અનુભૂતી થશે. અંદર પ્રવેશ કર્યાં બાદ વિશાળ ડોમમાં વિવિધ તીર્થધામોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જે જોઇને તમને એ તીર્થ જોયાની અનુભૂતિ થશે. બધા ડોમની વચ્ચે મનમોહક ગોવર્ધન પર્વત ઉભો કરાયો અહીં પ્રવેશ કરતા જ સૌથી પહેલા જમણી તરફ તમને તિરુપતિબાલાજીના દર્શન થશે. જે ખૂબ જ મનમોહક છે. ત્યારબાદ પદમનાભ સ્વામી, દ્વારકા, નાથદ્વારા, અયોધ્યા, બંદ્રીનાથ, કેદારનાથ, વૃંદાવન, જગન્નાથપુરી, રામેશ્વરના દર્શન થશે. આ બધા ડોમની વચ્ચે ગોવર્ધન પર્વત ઉભો કરાયો છે. જેની ઉપર વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણ દ્રશ્યમાન થાય છે. આ ગોવર્ધન પર્વતની પ્રદશિણા કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લે બિઝનેસ સમિટ અને બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અહીંથી બહાર નીકળ્યા બાદ આગળ વિશાળ હિમાલયની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અહીં રાત્રિના સમયે ભક્તો હિમાલયની ગુફાઓમાં પ્રવેશ કરીને દર્શન કરી શકે છે. ગુફાઓમાં શેષનાગ પર ભગવાન શ્રીકૃષ્ણ અને રામ દરબાર જેવા પ્રસંગોને જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. અહીં ગુફાની લાઇટીંગ સાથેના વિવિધ પ્રસંગો લોકો માટે આકર્ષણરૂપ બન્યા છે. છેલ્લે બિઝનેસ સમિટ અને બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહે છે અને નિષ્ણાતો દ્વારા વકતવ્ય ચાલે છે. તમામ તીર્થના દર્શનનો અહીં એક જ જગ્યાએ દર્શન કરવાનો અમને લ્હાવો મળ્યો જામનગરથી આવેલા હેમાબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, અમે અહીં 84 બેઠકના દર્શન કર્યાં, ચારધામના દર્શન કર્યાં, ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી, અહીં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, આખા દેશના તમામ તીર્થના દર્શનનો અહીં એક જ જગ્યાએ દર્શન કરવાનો અમને લ્હાવો મળ્યો છે. અમે 60 લોકો એકસાથે જામનગરથી આવ્યા છીએ. અહીં આવીને ધન્યતાનો અનુભવ થયો છે. જુનાગઢથી બસો બાંધીને મહોત્સવનો લ્હાવો લેવા આવ્યા છીએજુનાગઢથી આવેલા વિજયભાઇ ભલાણીએ જણાવ્યું હતું કે, અહીં આવીને અમને ખૂબ જ આનંદ થયો છે. ખૂબ સારુ આયોજન કરાયું છે. ભારતના મોટો મોટા ધામના અહીં દર્શન થયા છે. અમે વ્રજરાતબાવાની વ્રજનગરીમાં આવી ગયા છીએ. અમે ઘણી જગ્યાએ મહોત્સવમાં જઇએ છીએ પણ આવું આયોજન પહેલીવાર જોયું છે. અમે જુનાગઢ શહેરમાંથી 7 બસ અને જુનાગઢ જિલ્લામાંથી 22 બસ લઇને આવ્યા છીએ. ભારતભરના મુખ્ય તીર્થોને વડોદરાના નવલખી ગ્રાઉન્ડની પધરાવવામાં આવ્યા VYOના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાજીવ શાહે જણાવ્યું હતું કે, વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ શરૂ થયો છે. અહીંની ઘણી બધી યુનિકનેશ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે, ભારતભરના મુખ્ય તીર્થોને વડોદરાના નવલખી ગ્રાઉન્ડની પધરાવવામાં આવ્યા છે. ચારધામ, અયોધ્યા રામમંદિર, નાથદ્વારા, તિરુપતિબાલાજી મંદિર અને ભગવાન શ્રીકૃષ્ણએ ઉચકેલા ગોવર્ધનને પણ અહીં ઉભો કરવામાં આવ્યો છે અને એની ઉપર ભગવાન કૃષ્ણને બેસાડવામાં આવ્યા છે. નિઃશુલ્ક ભોજન પ્રસાદીનું પણ આયોજન કર્યું છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં હિમાલય પણ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાંની ગુફાઓમાં વિવિધ દ્રશ્યો ઉભા કરીને સ્ટોરી ટેલિંગની વ્યવસ્થા ઉભી કરી છે. અહીં વ્રજરાજકુમારના મુખે કથાનું પણ આયોજન કર્યું છે. સાથે-સાથે બિઝનેસ સમિટ અને બિઝનેસ એક્સપોનું પણ આયોજન કર્યું છે અને નિઃશુલ્ક ભોજન પ્રસાદીનું આયોજન કર્યું છે. હું તમામ લોકોને અહીં આવવા માટે આમંત્રણ આપુ છું. ગુજરાત અને દેશ-વિદેશથી લાખો લોકો ઉમટી રહ્યા છેઅત્રે ઉલ્લેખનીય છે કે, VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં શરૂ થયો છે. જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનું પણ કરાવી રહ્યા છે. 21થી 29 ડિસેમ્બર સુધી ચાલનારા ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશથી લાખો લોકો ઉમટી રહ્યા છે. અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી લોકો મહોત્સવમાં ભાગ લેવા માટે વડોદરા આવી રહ્યા છે. આજે વિશ્વના 15 દેશોમાં અમે સક્રિય રીતે કાર્યરત છીએવૈષ્ણાવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરની સંસ્થા VYO, જે આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી તથા પુષ્ટિમાર્ગનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25માં વર્ષની ઉજવણી નિમિત્તે ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એ એક મોટી કાર્યવાહી કરતા વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ સિવિલ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વર્ગ-1 ના ઉચ્ચ અધિકારી ડો. હર્ષિદ પટેલે એક ખાનગી ગાડીનું બિલ મંજૂર કરવા તથા તેની લોગબુકમાં સહી કરી આપવાના બદલામાં 20 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ બાબતે ફરિયાદ મળતા મહેસાણા એસીબી પીઆઈ એસ.ડી. ચાવડા અને તેમની ટીમે વડનગર સિવિલ હોસ્પિટલની કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. ડો. હર્ષિદ પટેલ જ્યારે પોતાની ઓફિસમાં લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીએ તેમને રંગેહાથ દબોચી લીધા હતા. આ સફળ ટ્રેપને પગલે સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને એસીબીએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા સોનલધામ ખાતે આજે આઈ સોનલ માના 102મા જન્મોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સોનલ બીજ નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં માઈભક્તો મઢડાના આંગણે ઉમટી પડ્યા છે. સોનલ બીજ માત્ર એક ધાર્મિક તહેવાર નહીં, પરંતુ ચારણ-ગઢવી સમાજની અતૂટ આસ્થા, ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ બની રહી છે. ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મઢડા ગામના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને વડીલો ઢોલ-નગારાના નાદ સાથે જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ આઈ સોનલ મા ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોમાં યજ્ઞ, સ્તુતિ અને દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. બપોરના સમયે સોનલધામના ચોકમાં રાસની રમઝટ બોલી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત શૈલીમાં રાસ ગરબે ઘૂમ્યા હતા. આ જન્મોત્સવ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉમટેલા ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીને સમાજની પરંપરા, સંસ્કાર અને સંતવાણીના મૂલ્યો સાથે જોડતી આ ઉજવણીમાં ચારણ-ગઢવી સમાજ સહિત અઢારે વરણના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. કચ્છથી આ પ્રસંગે ખાસ પધારેલા પ્રભુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે મઢડા ખાતે મા સોનલનો 102મો જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મા સોનલ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તેમના દર્શને વિશ્વભરમાંથી ભાવિકો અહીં આવે છે. અન્ય એક માઈભક્ત નિકુંજ કાત્રોડીયાએ જણાવ્યું કે, અમે છેલ્લા પાંચ વર્ષથી અહીં બીજ ભરવા આવીએ છીએ. આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં રાસ-ગરબા અને રાત્રે ભજનનો લ્હાવો લેવા મળશે. ઉજવણીના સમાપન પ્રસંગે આજે રાત્રિ દરમિયાન ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ લોક ડાયરામાં ગુજરાતના નામી-નામી લોકસાહિત્યકારો, ભજનીકો અને સંગીતકારો પોતાની કલા પીરસશે. સંતવાણી કાર્યક્રમ માટે વિશાળ સમિયાણું અને સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. ભક્તોની સુવિધા માટે સોનલધામ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને પાર્કિંગ સહિતની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતાં અને કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા અને ગુજરાત એનસીપીના પ્રમુખ તેમજ કોર્પોરેટર નિકુલસિંહ તોમર વચ્ચે વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝા દ્વારા નિકુલસિંહ તોમરના માણસો દ્વારા ધમકાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે જ્યારે ગુજરાત એનસીપીના પ્રમુખ અને કોર્પોરેટર નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન તેમના વોર્ડના વિસ્તારમાંથી કોન્ટ્રાક્ટરો અને લોકો પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે જે બાબતે તેઓને પૈસાની ઉઘરાણી ન કરવા માટે રોક્યા હતા જેથી તેઓ ઉગ્ર થઈ ગયા હતા અને આ બાબતે મારી ઓફિસમાંથી કેટલાક લોકો તેમને સમજાવવા ગયા હતા બસ આટલી જ બાબત છે. નિકુલસિંહના માણસો ધમકાવતા હોવાનો મહિલા કોર્પોરેટરના દીકરીનો આક્ષેપકામિનીબેન ઝાના દીકરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં એક ભાગવત કથાનો કાર્યક્રમ થાય છે તેના માટે ફાળો લેવા માટે આવ્યા હતા અને અમારા ત્યાંથી ફાળો લઈને ગયા ત્યારે નિકુલસિંહ તોમરના માણસો આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ચલો અમારી ગાડીમાં બેસી જાઓ એમ કહી અને ધમકી આપી હતી. માત્ર તેમનું જ રાજ ચાલે છે તેઓ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. નિકુલસિંહ પોતાને બાહુબલી નેતા હોવાનો દેખાવ કરે છે અને આ બાબતે જ્યારે મારા માતા કામીની બેને કહ્યું કે, તમે આવું કેમ કરો છો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું આવું જ કરીશ અને તમારાથી થાય તેવું કરી લો. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે જેમાં અત્યારે હાલમાં અરજી લેવામાં આવી છે પીઆઇ હાજર નહોતા જેથી પીઆઇ આવે ત્યારે ફરિયાદ નોંધવા માટે અમને કહ્યું છે. કામિનીબેનને ઉઘરાણા બંધ કરવા મેં કહ્યું હતું- નિકુલસિંહ તોમરગુજરાત એનસીપીના પ્રમુખ અને કોર્પોરેટર નિકુલસિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વોર્ડના કોંગ્રેસના સાથી કોર્પોરેટર કામિનીબેન ઝા તેમના વોર્ડ અને વિસ્તારમાંથી પૈસાની ઉઘરાણુ કરે છે અને આ ઉઘરાણું ન કરવા બાબતે સાથી કોર્પોરેટરને મેં કહ્યું હતું. પરંતુ તેઓ ઉગ્ર થઈ ગયા હતા. વિસ્તારમાંથી પૈસાની ઉઘરાણી કરી અને ભાગવત કરાવી રહ્યા છે જે બાબતે આવું ન કરવા અમે કહ્યું હતું છતાં પણ તેઓએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી જેથી મારી ઓફિસના કેટલાક લોકો ગયા હતા અને ત્યારબાદ બોલા ચાલી થઈ હતી. વધુમાં નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે સૌથી પહેલા અધિકારીઓને RTI કરી કહેવામાં આવે છે કે, આ કોન્ટ્રાક્ટર બરાબર કામ નથી કરતો જેથી તેની સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે. બે દિવસ પછી એ જ કોન્ટ્રાક્ટર સારો થઈ જાય છે. કેમકે તેમની પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે. આવી અસંખ્ય અરજીઓ કરવામાં આવી છે. પ્રજાના પૈસા ટેક્સના હોય છે જે કોન્ટ્રાક્ટર પાસેથી ચોરી કરાવવામાં આવે છે. મારા સાથી કોર્પોરેટરની મારી પાસે આવી અસંખ્ય અરજીઓ કરવામાં આવી છે અને તમામ પુરાવા છે આખી ફાઈલ છે. અમે તમને સાથે રહીને કોર્પોરેટર એટલા માટે બનાવ્યા હતા કે, તમે સાથે રહીને પ્રજાની સેવા કરો ચોરી કરવા માટે અમે તમને કોર્પોરેટર બનાવ્યા નથી. હવે તો એટલી બધી ચોરી કરે છે કે, પહેલા ચોરી કરવાની અને પછી દાન આપવાનું કરે છે. 4.5 વર્ષ ચોરી કરી અને હવે તમે બે મહિના પૈસા ખર્ચો છો. જો આવા ચોરોની અક્કલ ઠેકાણે લાવવી પડશે આ બાબતે પ્રજાને જાગૃત થવું પડશે. તમે આવા ચોરોને જીતાડો છો અને પછી બે મહિના તમારી પાછળ ખર્ચ કરે છે અને પાંચ વર્ષ કમાય છે. આવા ચોરોને જો સાન ઠેકાણે ન લાવી તો ખરાબ હાલત કરશે. એટલી બધી જગાઓ મને ખબર છે અને પુરાવા છે કે ક્યાં ક્યાં આ લોકોએ બધી ચોરીઓ કરી છે. આવા ચોર કોર્પોરેટરોથી દૂર રહો. NCPના કોર્પોરેટરના વિરુદ્ધમાં મહિલા કોર્પોરેટરની પોલીસમાં અરજીકોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જે અરજી આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, આજે 22 ડિસેમ્બરના રોજ બપોરના સમયે મેઘાણીનગર કાર્ગો ગેટની સામે આવેલી કોંગ્રેસ કાર્યાલયની ઓફિસમાં મારી દીકરી અને પતિ સાથે બેઠા હતા ત્યારે ગુરુકૃપાનગર ખાતે ભાગવત ગીતાનો પાઠ થવાનો હોવાથી તેનો ફાળો લેવા માટે કેટલાક લોકો આવ્યા હતા. યથાશક્તિ પ્રમાણે અમે ફાળો આપ્યો હતો જે બાદ એનસીપીના કોર્પોરેટર નિકુલસિંહ તોમરની ઓફિસમાં કામ કરતા શિવા પાટીલ, પંકજ સહાની અને રોહન સહિતના લોકો આવ્યા હતા તમે કેમ ઉઘરાણું કરો છો. અહીંના નેતા અમે છીએ અને નિકુલસિંહ તોમરનું જ ચાલશે. એમ કહી બૂમો પાડીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. નિકુલસિંહ તોમર અહિયાંના રાજા છે અને હવે પછી આવું કરશો તો મજા નહીં આવે એવી ધમકી આપવામાં આવી હતી. ચલ અમારી સાથે ગાડીમાં બેસી જા. અમારા મોટા સાહેબને મળો નહિતર છોડીશ નહીં એવી ધમકી આપી હતી. ગમે તે સમયે આ માણસો કંઈ પણ કરી શકે અને હું ઊંચી પહોંચવાની હોવાના કારણે ડર લાગતો હોવાથી આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલા મથરાવાડી વિસ્તારમાં ઘોડીપાસાની ક્લબ ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એક મહિલા સહિત કુલ 21 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 2.64 લાખ રોકડા, 18 મોબાઈલ ફોન અને 5 વાહનો સહિત કુલ રૂ. 29.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, ક્લબના સંચાલકો રાજેશ દેવદાન કેશુર, વિપુલ ઉર્ફે ભુરી મગન કેશુર અને કાંતિલાલ ઉર્ફે કાનો દામજી કોટડિયા સહિત ત્રણ આરોપીઓ પોલીસ દરોડા દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ જુગાર ક્લબ લતીપર ગામના મથરાવાડી વિસ્તારમાં કાના કોટડિયાની વાડીમાં આવેલા મકાનમાં ચલાવવામાં આવી રહી હતી. સંચાલકો બહારથી માણસો ભેગા કરીને જુગારના સાધનો પૂરા પાડી, નાલ ઉઘરાવી પોતાના અંગત ફાયદા માટે ઘોડીપાસાનો જુગાર રમાડતા હતા. ઝડપાયેલા જુગારીઓમાં ધાંગધ્રા, મોરબી, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં ખેતીકામ કરતા, વેપારીઓ, કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા, મજૂરી કરતા, માલધારી અને ખાનગી નોકરી કરતા શખ્સોનો સમાવેશ થાય છે. આ દરોડાની કાર્યવાહી ધ્રોલના પીઆઈ રાઠોડની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી IKDRC-ઈન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ વિવિધ સમસ્યાઓને લઈને પરેશાન થઈ રહ્યા છે. હવે કીડની હોસ્પિટલે કીડનીના ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનના ખર્ચમાં તેમજ ત્યાર પછીની દવા-ઈન્જેક્શન સહીતની સારવારના ખર્ચમાં ધરખમ વધારો કરી દીધો છે. હોસ્પિટલ દ્રારા જાણે ખુલ્લી લૂંટ ચલાવાતી હોય એવો માહોલ ઉભો થયો છે જેના સંદર્ભમાં મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સુધી લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. માત્ર 40 દિવસમાં કીડની ટ્રાન્સપ્લાન્ટના અંદાજીત ખર્ચમાં અધધ વધારોસરકારને અપાયેલી ફરિયાદમાં જણાવાયુ છે કે, હોસ્પિટલે આપેલા કીડની ટ્રાન્સપ્લાન્ટના નવા એસ્ટિમેટ્સને લઈને દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ગંભીર ચિંતા જોવા મળી રહી છે. દસ્તાવેજોના વિશ્લેષણથી જાણવા મળે છે કે માત્ર 40 દિવસમાં ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ અનેકગણો વધી ગયો છે અને પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં જ 3.50 લાખથી સીધો 7 લાખ ખર્ચદર્દીઓ પાસે ઉપલબ્ધ સત્તાવાર એસ્ટિમેટ મુજબ ખર્ચમાં થયેલો ફેરફાર આ મુજબ છે: 22 નવેમ્બર, 2024ના કિડની ટ્રાન્સપ્લાન્ટનો કુલ અંદાજીત ખર્ચ ₹3,50,000 હતો. 03 નવેમ્બર 2025ના આ ખર્ચ વધીને ₹4,00,000 (Living Donor) અને ₹5,00,000 (Deceased Donor) થયો છે. જ્યારે 13 ડિસેમ્બર, 2025 તાજેતરના એસ્ટિમેટ મુજબ સામાન્ય ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹5,56,000 થી ₹6,05,000 અને રોબોટિક ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹7,05,000 સુધી પહોંચી ગયો છે. તપાસના તેમજ દવાઓના ખર્ચમાં પણ ઉછાળોતપાસ ખર્ચ,અગાઉ જે તપાસ ખર્ચ 25,000 હતો, તે 13 ડિસેમ્બરના એસ્ટિમેટ મુજબ વધીને 96,000 (Recipient ₹67,000 + Donor ₹29,000) થયો છે. ટ્રાન્સપ્લાન્ટ પછીની દવાઓનો ખર્ચ જે અગાઉ 25,000 દર્શાવવામાં આવતો હતો, તે હવે વધીને ₹2,09,000 (Post Transplant charges) સુધી દર્શાવવામાં આવ્યો છે. આ પરીક્ષણનો એસ્ટિમેટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેHLA અને SA ટેસ્ટની અસ્પષ્ટતા જોઈએ તો, દર્દીઓની માંગ છે કે 60,000ના HLA Typing અને 30,000 ના Single Antigen (SA) પરીક્ષણનો એસ્ટિમેટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે, જે હાલના નવા ફોર્મેટમાં ગાયબ છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી સહાય મેળવવામાં દર્દીઓને મુશ્કેલીડોનર તપાસનો ખર્ચ નવેમ્બર 2024ના એસ્ટિમેટમાં ડોનર તપાસના 15,000 સ્પષ્ટ હતા, પરંતુ નવેમ્બર 2025ના એસ્ટિમેટમાં તે ગાયબ હતા. ડિસેમ્બરના લેટેસ્ટ એસ્ટિમેટમાં ફરીથી 29,000 ઉમેરાયા છે. આ અસ્પષ્ટતાને કારણે પ્રધાનમંત્રી રાહત કોષ કે અન્ય યોજનાઓમાંથી સહાય મેળવવામાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. 'પેકેજ' સિસ્ટમ લાવવાથી દર્દીને ખબર પડતી નથીપેકેજ સિસ્ટમની વાત કરીએ તો, આઈટમ-વાઈઝ (દરેક વસ્તુનો અલગ) ખર્ચ બતાવવાને બદલે હવે 'પેકેજ' સિસ્ટમ લાવવામાં આવી છે, જેનાથી દર્દીને ખબર પડતી નથી કે કયા ઓપરેશન કે દવાનો કેટલો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપ્લાન્ટ માટે જૂની પદ્ધતિ મુજબ એસ્ટિમેટ આપો,દર્દીઓના પરિવારોની માગસરકારને અપાયેલી રજૂઆતમાં માગણી કરાઈ છે કે, દર્દીઓના પરિવારજનો ઈચ્છે છે કે,ટ્રાન્સપ્લાન્ટ માટે ફરીથી જૂની પદ્ધતિ મુજબ item-wise (સામ્રગીવાર) એસ્ટિમેટ આપવામાં આવે. HLA Typing (60,000) અને Single Antigen (30,000)નો એસ્ટિમેટમાં બ્રેકેટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે. સરકારી સહાય પ્રાપ્ત સંસ્થા હોવા છતાં આટલો મોટો ભાવવધારો કયા આધારે કરવામાં આવ્યો તેનું લેખિત સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવે. અગાઉના ડાયરેક્ટર મિશ્રા ખોટી ફરિયાદો કરાવતા હોવાના તંત્રના બહાનાદર્દીઓ દ્રારા અનેક વખત અને વખતોવખત રજૂઆતો કરાઈ રહી છે. પરંતું હાલના ડાયરેક્ટર સહીતનુ હોસ્પિટલનુ તંત્ર સરકાર પાસે એક જ રટણ કરે છે કે, આ બધી ફરિયાદો અગાઉના ડાયરેક્ટર વિનિત મિશ્રા કરાવી રહ્યા છે. તેઓની હોસ્પિટલમાંથી હકાલપટ્ટી કરાતા તેઓ હોસ્પિટલને બદનામ કરવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. હોસ્પિટલનો વહીવટ ખાડે ગયોસૌથી આશ્ચર્યની વાત એ છે કે, ગાંધીનગરમાં બેસતા ટોચના અધિકારીઓ પણ આવા વાહીયાત બહાનાને માની રહ્યા છે. દર્દીઓની જેન્યુઈન ફરિયાદ સાથે મિશ્રાને શું લેવા દેવા તેવા સવાલોનો કોઈ જ જવાબ તંત્ર કે અધિકારીઓ પાસે નથી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે, હેલ્થ ખાતાના સચિવે જ આ અંગે ઉંડી તપાસ કરીને આગળ વધવુ જોઈએ. કોઈના માટે પૂર્વગ્રહ રાખીને તપાસ નહી કરવાથી હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો છે.
સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ઉપર ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ના પેન્ટ્રી કોચમાંથી રેલ્વેના વાણિજ્ય વિભાગે રેડ કરી ગેરકાયદે પાણી વેચવા મુકેલી 230 બોટલો પકડી જપ્ત કરી હતી. રેલ્વેમાં લાંબા સમયથી ચાલતા પાણીના આ ગેરકાયદે વેપાર ઉપર તંત્રની કાર્યવાહીથી પાણી માફીયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. પાણી માફિયાઓના નેટવર્કને ઉજાગર કર્યું હતુંસમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલ્વેના વાણિજ્ય વિભાગે એક મોટી કાર્યવાહી કરીને પાણી માફિયાઓના નેટવર્કને ઉજાગર કર્યું હતું. આ કાર્યવાહીમાં ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કોચમાંથી 23 બોક્સમાં ભરેલી ગેરકાયદેસર બ્રાન્ડેડ પાણીની બોટલો જપ્ત કરવામાં આવી. આ બોક્સમાં કુલ 230 બોટલો હતી, જે ન તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા માન્ય હતી અને ન તો રેલ્વેના કડક ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરતી હતી. આ ઘટના એ રેલ્વેમાં ચાલતા ગેરકાયદેસર સપ્લાય ચેઇનના મુદ્દાને ફરી એક વખત ઉજાગર કર્યો છે, જે મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરે છે. કોઈપણ ગુણવત્તા પરીક્ષણ વિના આ બોટલો ટ્રેનમાં પહોંચાડી હતીસવારે 8:30 વાગ્યે ટ્રેનના પ્રસ્થાન પહેલાં જ પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ અચાનક તપાસ હાથ ધરી હતી. પેન્ટ્રી કાર કોચમાં તપાસ દરમિયાન આ ગેરકાયદેસર બોક્સ મળી આવ્યા હતા. આ તમામ પાણીની સપ્લાય ઓમ સાંઈ રામ એજન્સી નામની કંપની દ્વારા કરવામાં આવી રહી હતી. આ એજન્સીએ IRCTCની મંજૂરી વિના અને કોઈપણ ગુણવત્તા પરીક્ષણ વિના આ બોટલો ટ્રેનમાં પહોંચાડી હતી. રેલવે અધિકારીઓએ તુરંત જ આ બોક્સ જપ્ત કરીને એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી હતી. અસલી બ્રાન્ડના નામે નકલી પાણી વેચાણનું નેટવર્કઅગાઉ પણ સુરત રેલ્વે સ્ટેશન ઉપર આ રીતે ગેરકાયદે પાણીની બોટલો પકડાઈ હતી. આજે ઉધના સ્ટેશન ઉપર ઘટના બની છે. આ ઘટના ફક્ત એક અલગ ઘટના નથી, પરંતુ તે રેલ્વે સ્ટેશનો પર ચાલતા પાણી માફિયાઓના વ્યાપક નેટવર્કનું ઉદાહરણ છે, જેમાં અસલી બ્રાન્ડના નામે નકલી અથવા નીચી ગુણવત્તાનું પાણી વેચાય છે.
જૂનાગઢ A ડિવિઝન પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ વધુ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ઝડપી પાડ્યા છે. આ બેંક એકાઉન્ટમાં 9.43 કરોડના રૂપિયા જમા કરાવી સગેવગે કરવામાં આવ્યા હતા. આ મામલે જૂનાગઢ પોલીસે 19 શખસો સામે ફરિયાદ નોંધી 9 શખસોને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 શખસો પોલીસ પકડથી હજુ દૂર છે. પોલીસે આ ગુનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં NCCRP (નેશનલ સાયબર ક્રાઈ રિપોર્ટિંગ પોર્ટલ) પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ સાયબર ફ્રોડના રેકેટનું દુબઈ કનેક્શન પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ A ડિવિઝન પોલીસે અત્યાર સુધીમાં 35 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અગાઉ 8થી વધુ યુવકો અને ગૌ સેવાના નામે બાલકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટના ખાતામાં છેતરપિંડીના રૂપિયા નાખતો ભવનાથ અવધૂત આશ્રમની ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની પણ ધરપકડ કરી હતી. 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 192 ફરિયાદોDySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ભાડે રાખી છેતરપિંડી આચરતા આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સોર્સથી તપાસ કરતા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં 'પ્રાઈમ ટ્રેડિંગ કંપની'ના નામે શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં NCCRP (નેશનલ સાયબર ક્રાઈ રિપોર્ટિંગ પોર્ટલ) પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડનું દુબઈ કનેક્શન સામે આવ્યુંપોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ રેકેટનું દુબઈ કનેક્શન અને ઇન્ટરનેશનલ કાર્યપદ્ધતિ બહાર આવી છે. જૂનાગઢનો અલી મહંમદ ઠેબા નામનો શખસ પોતાના મળતીયાઓ મારફતે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના રૂપિયા અલગ-અલગ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવતો હતો. આ 52 બેંક ખાતાઓમાં કુલ 9,43,70,335 રૂપિયા જમા કરાવીને તેને સગેવગે કરવામાં આવ્યા હતા. આ નાણાં ખાતાધારકો કે મળતીયાઓ દ્વારા ATM અથવા ચેકથી વિડ્રો કરી રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. ત્યારબાદ આરોપીઓ પોતાનું કમિશન કાપી બાકીની રકમ આંગડિયા મારફતે ભાવનગરના રાજુ ઉર્ફે રામ નામના શખસને મોકલતા હતા. રાજુ રૂપિયા USDTમાં કનવર્ટ કરી દુબઈના ઇરફાનને મોકલતોભાવનગરના રાજુ નામનો શખસ આ રોકડ રકમને USDT (ક્રિપ્ટોકરન્સી) માં રૂપાંતરિત કરી દુબઈમાં રહેતા ઈરફાન જાદુગરને મોકલી આપતો હતો. આ રીતે સાયબર ફ્રોડના નાણાં દેશ બહાર મોકલવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 19 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી અલી મહંમદ ઠેબા, ઇમ્તીયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ અને સાહીલ સમા સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે. પોલીસે 6 પાસબુક, 7 ચેકબુક અને ફોન જપ્ત કર્યાઆ સમગ્ર કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ, એ-ડિવિઝન પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે દરોડા દરમિયાન 6 પાસબુક, 7 ચેકબુક અને મોંઘા મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલમાં એ-ડિવિઝન પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને સંડોવાયેલા અન્ય એકાઉન્ટ ધારકોની શોધખોળ કરી રહી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 61(2) અને આઈટી એક્ટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અટકાયત કરાયેલા આરોપીઓના નામ ફરાર આરોપીઓના નામ
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા 50 થી વધુ ગેરકાયદેસર કતલખાના (સ્લોટિંગ યુનિટ) સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી આગામી 31મી ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા ખાટકી વાડો, બુકડી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવા ગેરકાયદેસર એકમો કાર્યરત છે. અગાઉ આ વેપારીઓને તેમના યુનિટ અન્ય સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં પાલિકાએ 50 થી વધુ માંસ-મટન વેચતી દુકાનોને સીલ મારવા માટે નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમોના ઉલ્લંઘન અને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી PIL NO. 133/2021ના સંદર્ભમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને ગેરકાયદેસર માંસની દુકાનો અને કતલખાના બંધ કરવાના આદેશના ભાગરૂપે કરવામાં આવી રહી છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આવા એકમોને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. પાટણ નગરપાલિકાએ આશરે પાંચ માસ પૂર્વે તમામ સ્લોટર યુનિટ ધારકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને GPCB (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ) ના નોર્મ્સ મુજબ યુનિટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી. જોકે, સંચાલકોએ સુધારા કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાલમાં કાર્યરત અનેક યુનિટ પાસે ફૂડ એન્ડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નથી. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અન્વયે પાટણના આવા તમામ બિનઅધિકૃત સ્લોટર યુનિટ આગામી 31મી ડિસેમ્બરે બંધ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મામલે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ હતી, જેના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીલિંગની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25 ડિસેમ્બર, 2025ને ગુરુવારના રોજ સવારે 6.30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાયક્લોથોન અને 28 ડિસેમ્બર, 2025ને રવિવાર રોજ સવારે 6.30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1625 નાગરિકોએ સ્વદેશી સાયક્લોથોન અને 1486 નાગરિકોએ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ અને ભાગલેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશોસ્વદેશી સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 24 ડિસેમ્બર, 2025ને 5 વાગ્યા સુધી તેમજ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 26 ડિસેમ્બર, 2025ને 5 વાગ્યા સુધી રહેશે. ધારાસભ્ય દ્વારા સાયક્લોથોનનું ફ્લેગ થશે25 ડિસેમ્બરના રોજ સ્વદેશી સાયક્લોથોનનું ફ્લેગ ઓફ ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહના વરદ હસ્તે કરવામાં આવશે. તેમજ 28 ડિસેમ્બરના રોજ સ્વદેશી રનનું ફ્લેગ ઓફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉ. માધવ દવેના વરદ હસ્તે કરાશે. આ બંને કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. સાયક્લોથોનનો 5 કિમી રૂટસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ - જીલ્લા પંચાયત ચોક – ડૉ. યાજ્ઞીક રોડ –ડી.એચ. કોલેજ – મ્યુનિસિપલ કમિશનર બંગ્લો રોડ – ગાર્ડન રોડ –વિરાણી હાઇસ્કુલ – ટાગોર રોડ –શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ –એસ્ટ્રોન ચોક – મહિલા કોલેજ ચોક –કિશાનપરા ચોક – મેયર બંગ્લો – પોલીસ હેડ ક્વાર્ટર - શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છેબંનેમાં રજીસ્ટ્રેશન ફ્રી છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ભાગલેનારએ સ્વયં શિસ્તબધ્ધ રીતે સાયકલ અને રન કરવાનું રહેશે. આ કાર્યક્રમ સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરેલ હોઇ, અગ્રતાક્રમે આવનારને વિજેતા જાહેર કરવામાં આવશે નહિ. સ્વદેશી રનનો 5 કિમી રૂટસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ - જીલ્લા પંચાયત ચોક – ડૉ. યાજ્ઞીક રોડ –ડી.એચ. કોલેજ – મ્યુનિસિપલ કમિશનર બંગ્લો રોડ – ગાર્ડન રોડ –વિરાણી હાઇસ્કુલ – ટાગોર રોડ –શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ –એસ્ટ્રોન ચોક – મહિલા કોલેજ ચોક –કિશાનપરા ચોક – મેયર બંગ્લો – પોલીસ હેડ ક્વાર્ટર - શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ. સ્વદેશી સાયક્લોથોન અને સ્વદેશી રન કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રામ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મનપાના કોર્પોરેટરો અને અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહેશે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે તા. 16થી 22 ડિસેમ્બર 2025 દરમિયાન ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ નિમિત્તે આયોજિત સાપ્તાહિક ઉજવણીનું આજે ઉત્સાહભર્યા વાતાવરણમાં સમાપન થયું હતું. આ સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિત પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને ગણિત વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધાવી લીધા હતા. સાપ્તાહિક કાર્યક્રમો દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, વર્કશોપ અને પ્રદર્શનો દ્વારા ગણિતના મહત્વને રોચક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે યોજાઈ હતી અને તેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો રસ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતોએ સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતુંઆ સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત એક્સપર્ટ લેક્ચર્સ, ગણિત સાથે જ્ઞાન પ્રવૃત્તિઓ, મેથેમેટિક પઝલ્સ, મેજિક નંબર્સ, મેથ ક્વિઝ કોમ્પિટિશન, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ તેમજ ઓરીગામી જેવી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, વિવિધ વિષયના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને ગણિતના દૈનિક જીવનમાં ઉપયોગ, તર્કશક્તિ અને સમસ્યા હલ કરવાની રીતો વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું, શ્રીનિવાસ રામાનુજનના જીવન અને ગણિત ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી ડોક્યુમેન્ટરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી, મેથ ક્વિઝ અને પઝલ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની બુદ્ધિક્ષમતા અને વિચારશક્તિ પ્રદર્શિત કરી હતી, દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છેઆ સમગ્ર ઉજવણી દરમિયાન અંદાજે 1500 જેટલા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભાગ લેનાર સૌ માટે ગણિત માત્ર વિષય નહીં પરંતુ એક રસપ્રદ અને જીવન સાથે જોડાયેલ વિજ્ઞાન તરીકે અનુભૂતિમાં આવ્યું હતું, ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ ભારત દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ તરીકે ઉજવાય છે, ભારત સરકારે વર્ષ 2012 માં રામાનુજનના ગણિત ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાનને માન આપતા 22 ડિસેમ્બરને ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ તરીકે જાહેર કર્યો હતો, શ્રીનિવાસ રામાનુજન ભારતના સૌથી પ્રતિભાશાળી અને વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞોમાંથી એક હતા, રામાનુજનએ પોતાના સ્વઅધ્યયન દ્વારા ગણિતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હતી, નંબર થિયરી, અનંત શ્રેણીઓ, કન્ટિન્યુડ ફ્રેક્શન અને પાર્ટિશન ફંક્શન જેવા વિષયોમાં તેમના સંશોધન આજે પણ વિશ્વભરના ગણિતજ્ઞો માટે પ્રેરણાસ્રોત છે, ‘નેશનલ મેથેમેટિક્સ ડે’ માત્ર એક ઉજવણી નથી, પરંતુ યુવા પેઢીમાં ગણિત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. બાળક અને યુવાનોમાં STEM પ્રત્યે રસ જગાડવા અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરે છેઆ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું, રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર દ્વારા આયોજિત આ પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક અને યુવાનોમાં STEM પ્રત્યે રસ, જિજ્ઞાસા અને નવીનતા વિકસે તે માટે આરએસસી ભાવનગર સતત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે.
19 ડિસેમ્બર, 2025એ દિવ્ય ભાસ્કર ડિજિટલમાં ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ પબ્લિશ થયો હતો. ‘ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ જમા થયા’. આ રિપોર્ટમાં એ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે કેટલાક લોકો ઓફિસ બોય, ટ્રક ડ્રાઈવર જેવા નાનાં માણસોના ખાતામાં રોકડા રૂપિયા જમા કરીને ચેકથી ઉપાડી લે છે. આ રીતે કાળાં નાણાંને ધોળાં કરવાનો ખેલ ચાલે છે. અમદાવાદમાં ચાલતા કૌભાંડના છેડા લાઠી યાર્ડમાં નીકળ્યા હતા. દિવ્ય ભાસ્કર ડિજિટલના અહેવાલના પગલે એ જ દિવસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી અને આ રેકેટમાં સંડોવાયેલા બે વ્યક્તિઓને ઝડપીને કાર્યવાહી કરી હતી. પોલીસ પોતે જ ફરિયાદી બની છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ પછી એક્ટિવ થયેલી ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનામાં તાત્કાલિક પગલાં લઈ અમદાવાદમાં નવરંગપુરામાં સી.જી.રોડ પર આવેલા સમુદ્ર કોમ્પલેક્સમાં ઓફિસ નંબર 406માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી કેટલોક મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ‘ઓપરેશન મ્યુલ હંટ’ નામની ડ્રાઈવ ચલાવે છે. આનો અર્થ એવો થાય કે ગેરકાયદે નાણાંકીય વ્યવહાર કરવા માટે કોઈ બીજાના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે તેવા એકાઉન્ટને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે. આના ભાગરૂપે ભાસ્કરના અહેવાલ પછી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી હતી. ભાસ્કરનો અહેવાલ વાંચવા અહિ ક્લિક કરો... ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ જમા થયા:કાળાં નાણાંને ધોળાં કરવાના કૌભાંડની માયાજાળ; અમદાવાદના છેડા લાઠી યાર્ડમાં નીકળ્યા પોલીસ FIR પ્રમાણે હાલ બે વ્યક્તિની આમાં ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં 1. આકાશ સોની અને 2. મનોજ રમાવતના નામ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વ્યક્તિઓની ઓફિસની જડતી કરી તો તે સમયે ઓફિસ માથી મળી આવેલી કેટલીક વસ્તુઓ મળી આવી હતી, જેનો કબજો લેવાયો હતો. આ તમામ મુદ્દા માલ ની કુલ કિમત 1,90,500 જેટલી થાય છે. જેનો પોલીસ એફ.આઇ.આરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ.આર.રાવલ ફરિયાદી બન્યા છે. તેમણે નોંધેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ મુયરધ્વજસિંહ ભગીરથસિંહે માહિતી આપી કે કેટલાક લોકો નાનાં માણસોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને કાળા નાણાંને ધોળાં કરવાનું કામ કરી રહ્યા છે. આની તપાસ કરતાં સમુદ્ર કોમ્પલેક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આકાશ સોની અને બેન્કીંગનું કામ કરતા મનોજ રામાવતે મળીને તેની ટોળકી બનાવી હતી. આ ટોળકી જરૂરિયાત મંદો અને નાનાં માણસોને ફસાવીને તેના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કંપનીઓ બનાવી છે. આ કંપનીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને અલગ અલગ બેન્કોમાં ટ્રાન્સફર કરીને નાણાંની હેરફેર કરતા હતા. આકાશ સોની મૂળ સુરેન્દ્રનગરના રાજસીતાપુરનો રહેવાસી છે અને અમદાવાદમાં બોડકદેવમાં ગેલેરિયા તુલીપ ખાતે રહે છે. જ્યારે મૂળ રાજસ્થાનના નાગોરનો રહેવાસી મનોજ રામાવત રાણીપમાં પિન્ક સિટી પાસેના સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસે ઓફિસે દરોડો પાડીને બંનેને ઝડપી લીધા છે અને કેટલોક મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે, આકાશ સોનીની પૂછપરછ કરતાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે પોતે મનોજ રામાવત સાથે મળીને સમુદ્ર કોમ્પલેક્સમાં ઓફિસ ભાડે રાખી હતી. અહિથી એવું ષડયંત્ર શરૂ કરવામાં આવ્યું કે એગ્રો કંપનીના નામે ઓફિસો ખોલીને નાણાકીય વહિવટ કરવો. કારણ કે એગ્રો કંપનીના નામે કામ કરીએ તો જીએસટી ભરવાનો થતો નથી અને રોકડ ટ્રાન્ઝેક્શનમાં મર્યાદા હોતી નથી. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં એક કરોડની લેવડ-દેવડ હોય તો 50 હજાર રૂપિયા કમિશન મળે છે. આના માટે ડમી સીમકાર્ડ ખરીદ્યા હતા. ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હતો. નાના માસોના નામે જે બેન્ક એકાઉન્ટ ખુલે તેમાં બેન્ક કીટ આવે તે પોતે રાખી લેતા હતા. બેન્કની શંકાસ્પદ ભૂમિકા સામે પણ તપાસ થશે દિવ્ય ભાસ્કર ડિજિટલે જ્યારે આ સ્કેમનો ઘટસ્ફોટ કર્યો ત્યારે તેનો ભોગ બનેલા અને ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવાર નામના યુવકે તમામ પુરાવા આપ્યા હતા. તેમાં ઈન્કમટેક્સ સર્કલ પાસે આવેલી ધનલક્ષ્મી બેન્કની જાન્યુઆરી-2024થી ઓગસ્ટ-2025 સુધીની એન્ટ્રી મેળવી હતી. જેમાં દોઢ વર્ષમાં જ 254 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. આ તો એક કિસ્સો છે. બાકી તો અબજો રૂપિયાના વ્યવહારો અલગ અલગ બેન્કમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને જે 103 ચેકબુક મળી આવી છે તે વિવિધ બેન્કોની છે. આમાં બેન્કોની સંડોવણી ખુલશે તો બ્રાન્ચ મેનેજર અને સંબંધિત સ્ટાફની પણ ધરપકડ થઈ શકે છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં યોગદાન આપ્યું:વડોદરામાં પૂર્વ વાયુસેના સૈનિકને ગાર્ડ ઑફ ઑનર સાથે અંતિમ વિદાય
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા ભારતીય વાયુસેનાના પૂર્વ સૈનિક ઝાહિરુદ્દીન ફખરુદ્દીન સૈયદનું લાંબી નાદુરસ્તી બાદ દુ:ખદ નિધન થયું હતું. તેમના અવસાનથી પરિવારજનો તેમજ મિત્રવર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે BSNLમાં સેવા બજાવી હતીઝાહિરુદ્દીન સૈયદ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા. તેમણે વર્ષ 1965 તથા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં દેશ માટે વફાદારીપૂર્વક ફરજ નિભાવી સેવા આપી હતી. તેમનું સાહસ, ઇમાનદારી અને રાષ્ટ્રપ્રેમ તેમના પરિવાર તેમજ સમગ્ર દેશ માટે ગર્વનો વિષય છે. વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે BSNLમાં સબ-ડિવિઝનલ એન્જિનિયર (SDE) તરીકે સેવા બજાવી હતી. જવાનોએ અંતિમ વિદાય વેળાએ ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતુંતેમની અમૂલ્ય દેશસેવાને માન આપવા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનોએ અંતિમ વિદાય વેળાએ ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. આ સન્માન તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ હતું. મરહૂમ ઝાહિરુદ્દીન સૈયદ એક શિસ્તબદ્ધ સૈનિક, ઈમાનદાર જાહેર સેવક તેમજ પરિવાર માટે માર્ગદર્શક તરીકે હંમેશા યાદ રહેશે. તેમની અંતિમ યાત્રામાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ધોરણ-10 અને ધોરણ-12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બોર્ડ તથા સંસ્કૃત માધ્યમ)ના નિયમિત તેમજ ખાનગી ઉમેદવારોને આ નિર્ણયથી મોટી રાહત મળી છે. 22 ડિસેમ્બર 2025 સુધી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે ફોર્મ ભરી શકાશેબોર્ડ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના મુજબ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે આવેદન, તેમાં સુધારા તેમજ પ્રિન્સિપાલ દ્વારા મંજૂરી આપવા માટેની અંતિમ તારીખ હવે 22 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે. 24 ડિસેમ્બર 2025 સુધી ધોરણ-10-12 સામાન્ય પ્રવાહ માટે ફોર્મ ભરી શકાશેજ્યારે ધોરણ-10 તથા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બોર્ડ અને સંસ્કૃત માધ્યમ) માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. 26 ડિસેમ્બર 2025ના રાત્રે 12 વાગ્યા સુધી સુધારા કરી શકાશેઆ ઉપરાંત ફોર્મમાં કોઈપણ પ્રકારના સુધારા કે પ્રિન્સિપાલની મંજૂરી આપવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025ના રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. 30 ડિસેમ્બર 2025 સુધી સ્કૂલો કામગીરી પૂર્ણ કરશેબોર્ડે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ દ્વારા ફી સાથેની બાકી રહેલી કાર્યવાહી 30 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરી શકાશે. હજારો વિદ્યાર્થી-શાળાઓને ફાયદોઆ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ અને શાળાઓને વધારાનો સમય મળતા શૈક્ષણિક જગતમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બોર્ડે તમામ સંબંધિતોને સમયમર્યાદાનું પાલન કરવાની અપીલ કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાના નામ બદલવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસે મોદી સરકારને નેમ ચેન્જર ગણાવી છે. જ્યાં-જ્યાં ભાજપ સરકાર છે ત્યાં શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જ્યાં જ્યાં ભાજપ સરકાર હોય ત્યાં રોજગાર, આદિવાસીઓનો અધિકાર છીનવાઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, 2014માં ગેમ ચેન્જરની વાતો કરતી મોદી સરકાર નેમ ચેન્જર બની ગઈ છે. ઐતિહાસિક યોજનાને આધુનિક કરણના નામે તોડી નાખવાનું પાપ કર્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તેમજ દેશના લોકોના કલ્યાણ માટે નક્કર કામગીરીનો દેશની જનતા સમક્ષ હિસાબ આપે તેવી સરકાર પાસે માંગ કરી છે. મનરેગા યોજનાને ખતમ કરવાનું કામ મોદી સરકારે કર્યું છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં 2014માં વિવિધ ચૂંટણી પ્રચાર દરમિયાન બદલાવ માટે વોટ માગનારી મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ નેમ ચેન્જર તરીકે કામ કરી રહી છે. ચૂંટણીની સભાઓમાં વાતો કરનાર મોદી સરકાર છેલ્લા 11 વર્ષમાં નેમ ચેન્જર તરીકે કામ કરે છે. એક પણ યોજના એવી નથી કે જે પોતે ચાલુ કરી હોય. જેનું તાજું ઉદાહરણ સૌથી મોટી રોજગાર યોજના મનરેગા યોજના તરીકેની સફળતા મળી હતી. આ યોજનાને સંપૂર્ણ રીતે ખલાસ કરીને મહાત્મા ગાંધીના નામને ભૂંસવા માટે તેમના વિચારને ભૂંસવા માટે મોદી સરકાર કામ કરે છે. જુદી-જુદી યોજનાઓ અને છેલ્લે મનરેગા યોજનાને ખતમ કરવાનું કામ મોદી સરકારે કર્યું છે. લાખો શ્રમિકોના હક પર તરાપ મારવાનું કામ કર્યું છે. માહિતી અધિકાર હોય કે આદિવાસી સમુદાયને અધિકાર આપવાની વાત હોય તે કોંગ્રેસ સરકારે મજબૂતાઈથી કર્યું છે. સ્ટેડિયમમાં પોતાનું નામ લખી સરદાર સાહેબનું નામ ભૂંસી નાખ્યુંવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર પોતાના નામ પર યોજના શરૂ કરી શકે તેનાથી કોઈને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ, મનરેગા કાનૂન આધારિત યોજના હતી. ભાજપ સરકારે મનરેગા તોડી નાખવા માટે કામ કર્યું છે. 100 દિવસ રોજગાર આપવાનો એટલે કે માણસ માંગે ત્યારે રોજગાર આપવાનો. ગેમ ચેન્જર તરીકે મોટા-મોટા દાવા કરવામાં આવ્યા પરંતુ, નેમ ચેન્જર તરીકે કામ કરવામાં આવી રહ્યું છે. 30 વર્ષમાં એક પણ મોટી યુનિવર્સિટી બનાવવામાં આવી નથી પરંતુ, સ્ટેડિયમમાં પોતાનું નામ લખી સરદાર સાહેબનું નામ ભૂંસી નાખ્યું. આ રીતે અનેક ઐતિહાસિક યોજનાને આધુનિક કરણના નામે મહાત્મા ગાંધીની વિદ્યાપીઠ હોય કે આશ્રમ હોય તેને પણ તોડી નાખવાનું પાપ મોદી સરકારે કર્યું. દેશની તિજોરીમાં ઓછામાં ઓછું એક યોજનામાં 5 હજાર કરોડ રૂપિયાનું ભાર વધશેસરકારી તિજોરી પર દેવું વધવાની વાતને લઈને ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમે માંગ કરીએ છીએ મોદી સરકાર શુધ્ધ બુદ્ધિ સાથે દેશના લોકોના કલ્યાણ માટે નક્કર કામગીરીનો દેશની જનતા સમક્ષ હિસાબ આપે. સરકારી ગ્રાન્ટેડ કોલેજોને બંધ કરવાનું કામ મોદી સરકાર કરી રહી છે. જ્યાં જ્યાં ભાજપ સરકાર છે જ્યાં જ્યાં શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જ્યાં જ્યાં ભાજપ સરકાર હોય ત્યાં રોજગાર, આદિવાસીઓનો અધિકાર છીનવાઈ રહ્યો છે. બદલા માટે નહીં બદલાવ માટે કામગીરી કરો. નામ બદલવાના કારણે દેશની તિજોરીમાં ઓછામાં ઓછું એક યોજનામાં 5 હજાર કરોડ રૂપિયાનું ભાર વધવાનું છે. નવો સ્ટેમ્પ, નવી પદ્ધતિ, નવા નવા હોડિંગ લાગશે તેનો ખર્ચ થશે જે આપણા સૌના ખિસ્સામાંથી થવાનો છે. દેશમાં ચાલતી લૂંટના લાભાર્થી હોય તો તે તેમના મળતીયાઓ છે. ગેમ ચેન્જર તરીકે કામગીરી કરે એવી અમારી માંગ છે.
2000 થી વધુ રમતવીરોએ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અને કબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની ભાઈઓ માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રાહકોની બાબતો વિભાગનાં રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો, સ્પર્ધામાં જિલ્લાભરના 2 હજારથી વધુ રમતવીરો એ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અને કબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેના દ્વારા ખેલાડીઓને રમત-ગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ રહી છે, વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને દરેક સાંસદ દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમતોત્સવ યોજવામાં આવી રહ્યા છે આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રમવા આવેલા રમતવીરોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. જેનાથી ખેલાડીઓમાં ઉત્સાહનો વધારો થયો હતો. આ સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધા બે દિવસ સુધી જુદી જુદી રમતો રમાડવામાં આવશે, આ કાર્યક્રમમાં આગેવાન કુમારભાઈ શાહ, ભરતભાઈ મેર, રાજુભાઇ ફાળકી, રોહિતભાઈ બગદરીયા, મેહુલભાઈ ડાંગર, વિનુભાઈ મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શૈલજા દરજીએ બોલ્ડરિંગમાં બ્રોન્ઝ મેડલ અને લીડ ક્લાઇમ્બિંગ (સબ જુનિયર ગર્લ્સ)માં બ્રોન્ઝ મેડલ તથા અમી પટેલે બોલ્ડરિંગ (ઓપન ગર્લ્સ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ સ્પર્ધા પુણે (મહારાષ્ટ્ર) ખાતે વેસ્ટ ઝોન સ્પર્ધામાં 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાઈ હતી. સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ગુજરાતે મહિલા વર્ગમાં કોઈ મેડલ મેળવ્યો છે. સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ એ ઓલિમ્પિક્સ રમતો અને ભારતમાં વધતી જતી રમતનો એક ભાગ છે આ બંને ખેલાડીઓ ક્લાઇમ્બિંગ વોલની મર્યાદિત ઍક્સેસ અને મર્યાદિત સંસાધનો સાથે આ લેવલ સુધી પહોંચ્યા છે. આગામી 26 થી 29 ડિસેમ્બરે કર્ણાટક ખાતે નેશનલ સ્પોર્ટ ક્લાઇમ્બીંગ ચેમ્પિયનશીપ યોજાવાની છે. જેમાં હવે શૈલજા અને અમી વેસ્ટ ઝોનને નેશનલ લેવલે પ્રેઝેન્ટ કરશે. કોઈ ગુજરાતી મહિલા આ રમતમાં વેસ્ટઝોનને પ્રેઝેન્ટ કરશે તેમ પહેલી વાર બની રહ્યું છે.
માવલ ચેકપોસ્ટ પર 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો:ગુજરાતમાં દારૂ ઘુસાડાતો હતો, બે આરોપીઓની ધરપકડ કરાઈ
રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. રાજસ્થાન પોલીસે હરિયાણા પાસિંગના એક ટ્રકમાંથી આ દારૂ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી માવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ હરિયાણા પાસિંગના એક ટ્રકને રોક્યો હતો. તપાસ કરતાં તેમાંથી પંજાબ અને હરિયાણામાં બનેલા વિદેશી દારૂની 400 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને તેમાં સવાર બે વ્યક્તિઓની અટકાયત કરી છે. આરોપીઓની ઓળખ રાકેશ શેરસિંહ અને કિશનકુમાર રામકુમાર (બંને રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. જપ્ત કરાયેલા 400 પેટી દારૂની બજાર કિંમત આશરે 40 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આબુરોડ રોક્કો થાણાધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, જેમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાનારા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવશે. જેમાં 14 વિદ્યાશાખાના 43,792 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તો રાજ્યપાલના હસ્તે 160 તેજસ્વી વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ અને 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ એનાયત થશે. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 129 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 49 જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારંભ તા.25 ડિસેમ્બરના ગુરુવારના રોજ સવારે 11 કલાકે રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અવ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યના રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43792 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 178 ગોલ્ડમેડલ તથા 271 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ 72 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 106 ગોલ્ડમેડલ મળીને કુલ 178 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 113 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 158 પ્રાઈઝ મળીને 271 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 160 દિક્ષાર્થીઓમાં 49 વિદ્યાર્થીઓ તથા 129 વિદ્યાર્થિનીઓ મળીને કુલ 178 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની મેડિકલ ફેકલ્ટીની MBBS ની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી 7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવશે. અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ. માં 3 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ, રાજકોટની કે.એ. પાંધી લો કોલેજની વિદ્યાર્થિની ગૌસ્વામી ખ્યાતી મહેશપરીને એલ.એલ.બી. માં 3 ગોલ્ડમેડલ તથા 7 પ્રાઈઝ અને રાજકોટની જ સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં 3 ગોલ્ડમેડલ તથા 1 પ્રાઈઝ એનાયત થશે. બોક્સ: ફેકલ્ટી - ડિગ્રીવિનયન - 10765શિક્ષણ - 4252વિજ્ઞાન - 2415કાયદા - 1974તબીબી - 3583વાણિજ્ય - 11324મેનેજમેન્ટ - 1791હોમીયોપેથી - 539આર્કિટેક્ચર - 46હ્યુમીનીટી એન્ડ સોશિયલ સાયન્સ - 1370કોમ્પ્યુટર સાયન્સ - 5148ગ્રામવિદ્યા - 130ગૃહવિજ્ઞાન - 226લાઇફ સાયન્સ - 229કુલ - 43792
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો શિયાળુ હવામાન જેના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ હતી. દિલ્હીમાં પણ ધુમ્મસ અને પ્રદૂષણ વાળા વાતાવરણના કારણે અમદાવાદ એરપોર્ટ પર પણ આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી ફ્લાઇટ કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. 3 ફ્લાઇટ્સ કેન્સલ અને 12 ફ્લાઇટ ડિલે થઈદિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 3 ફ્લાઇટ્સ રદ કરવી પડી અને 12 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. ઈન્ડિગોની બે અને સ્પાઇસજેટની એક ફ્લાઇટ કેન્સલઈન્ડિગોની એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ઈન્ડિગોની જયપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ નંબર 6E 7031 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. આજે કુલ 2 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ઈન્ડિગોની એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી. ઈન્ડિગોની અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટ નંબર 6E 7523 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. જ્યારે સ્પાઇસજેટની એક ફ્લાઇટ કેન્સલ થઈ હતી. અમદાવાદથી ફૈઝાબાદ જતી ફ્લાઇટ નંબર SG 445 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ 12 ફલાઈટ મોડી પડીઈન્ડિગોની 6 ફ્લાઇટ ડીલે થઈ હતી. જયપુરની 6E 7524 અને 6E 7217 એમ કુલ 2 ફ્લાઇટ, વારાણસીની 6E 6414, કોલકત્તાની 6E 6072, ચંડીગઢની 6E 112, ફૈઝાબાદની 6E 6109 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે અકાસા એરની 1 ફ્લાઇટ મુંબઈની QP 3145 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે સ્ટાર એરની 1 ફ્લાઇટ પૂર્ણિયાની S5 619 ફ્લાઇટ ડીલે થઈ હતી. ઈન્ડિગોની 2 ફ્લાઇટ ડીલે થઈ હતી. દિલ્હીની 6E 5226, મુંબઈની 6E 682 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે અકાસા એરની અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઇટ નંબર QP 563 ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે થાઈ એર એશિયાની અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઇટ નંબર FD 145 ફ્લાઇટ ડીલે થઈ હતી.
જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળો જામનગરના જે.એમ.સી. ગ્રાઉન્ડ, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, 22 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ મેળામાં 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જ્યાં હેન્ડીક્રાફ્ટ, લીપણ આર્ટ, હસ્તકળા, ગૃહ સુશોભન અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સહિતની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રગતિશીલ મહિલાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી હતી. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળો એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, તેમના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે, આ મેળો નારી શક્તિના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો ઉત્સવ છે. ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્રસ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો, બેટી પઢાવો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ, સખી મંડળ અને નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતા પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડે છે. અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે, બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા તથા પ્રગતિનો માર્ગ સુગમ બને છે. આવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે. સરકાર બહેનોને તાલીમ, નાણાકીય સહાય, માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે જામનગર જિલ્લાની બહેનો આજે હસ્તકલા, ગૃહ ઉદ્યોગ, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય સ્વરોજગાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે, અને આ પ્રકારના કાર્યક્રમો તેમના પ્રયત્નોને વધુ વેગ આપવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્યો સર્વ મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણીઓ ડૉ.વિનોદ ભંડેરી, બીનાબેન કોઠારી, રમેશ મુંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ડેપ્યુટી મ્યુ.કમિશ્નર ઝાલા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને મહારાણી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘બાલ મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ મહોત્સવ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કાર્યક્રમનું મંગલ ઉદ્ઘાટન મહારાણી સંયુક્તાકુમારીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અમારું કલ્ચર કેટલું જુદું છે અને તોય અમે બધા એક જ છીએમહારાણી સંયુક્તાકુમારીએ જણાવ્યું હતું કે, આજે આપણી દીકરીઓએ આજે જે પ્રસ્તુત કર્યું છે, એ દેશના ખૂણે ખૂણેથી રાજ્યોનું કર્યું છે, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, મહારાષ્ટ્ર, ઘણા બધા રાજ્યોનું કર્યું છે અને વેસ્ટ બંગાળએ આ હાઇલાઇટ કરે છે કે અમારું કલ્ચર કેટલું જુદું છે અને તોય અમે બધા એક જ છીએ. મને લાગ્યું કે, હું મારા કાંગડા વેલીમાં પાછી પહોંચી ગઈ મહારાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું હિમાચલની છું અને સ્ટાફ અને સ્ટુડન્ટ્સ મારી પાસે આવીને રિસર્ચ કરીને ગયા હતા અને ઇન્ટરનેટ ઉપરથી એને જુદી-જુદી જગ્યાથી ખૂબ રિસર્ચ કરીને એકદમ પરફેક્ટ એમને કર્યું છે. ખાસ કરીને જે ધામ બધા નીચે બેસીને જે જમે છે, પાતળમાંથી જમે છે અને કોસ્ચ્યુમ, જ્વેલરી, જે સંગીત છે એકદમ જેમ મને લાગ્યું કે, હું મારા કાંગડા વેલીમાં પાછી પહોંચી ગઈ છું. અમે મોર્ડન અને ટ્રેડિશનલમાં બેલેન્સ રાખીએ છીએસંદેશ આ જ છે કે, અમારી સંસ્થા ટ્રાય કરે છે કે અમે મોર્ડન અને ટ્રેડિશનલમાં બેલેન્સ રાખીએ છીએ તો દર વર્ષે અમે જુદું-જુદું કરીએ છીએ. સ્પોર્ટ્સ ઓફકોર્સ હોય છે, અમે સાયન્સને ખૂબ મહત્વ આપીએ છીએ, યેટ અમને ટ્રેડિશનલ અમારી જે રીત-રિવાજ છે, અમારા જે કસ્ટમ્સ છે એ પણ અમારે દીકરીઓમાં ખૂબ સરસ રીતે સીંચી-સીંચીને દેવું છે તો આ જે કાર્યક્રમ થયો છે. એમાં મને લાગે છે કે, મારી દીકરીઓને ખૂબ સંસ્કાર શીખવામાં આવશે અને અમારો દેશ કેટલો જુદો-જુદો છે અને તોય અમે બધા એક જ છીએ. અમારી હેરિટેજ બિલ્ડિંગે 'માતૃમંદિર'નું અમે આજે નવીનીકરણ કર્યુંનંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક ડો.અયના ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા અમારી ધરોહર છે, અમારી હેરિટેજ બિલ્ડિંગે 'માતૃમંદિર'નું અમે આજે નવીનીકરણ કર્યું અને મહારાણી સંયુક્તાકુમારીના હસ્તે એનું ઉદ્ઘાટન કરાવ્યું. અને આજે અમારી શાળાના પટાંગણમાં બાલઉત્સવનું આયોજન છે. જુદા-જુદા રાજ્યોમાં જે લુપ્ત થતી વિધિવિધાન છેઅમે ઘણા વર્ષોથી બાલઉત્સવનું આયોજન કરીએ છીએ, આ વર્ષના બાલઉત્સવમાં અમારો મૂળ હેતુ 'લગ્ન સંસ્કાર'નો છે એટલે કે જેમાં જુદા-જુદા રાજ્યો કુલ અમે 11 રાજ્યોની પસંદગી કરી છે. જુદા-જુદા રાજ્યોમાં જે લુપ્ત થતી વિધિવિધાન છે, સંસ્કાર છે, જે સંસ્કૃતિ છે એ અત્યારના વિદ્યાર્થીઓ જાણી શકે, સમજી શકે અને કેવા પ્રકારની વિધિઓ એ લગ્ન દરમિયાન થતી હોય છે મૂળ વિધિઓ કેવી હતી? અત્યારે કેવી છે, એનો એ લોકોને તાદ્રશ્ય ખ્યાલ આવે એવા હેતુસર અને આ ઉપરાંત અમે એ લોકોને બજેટ પણ આપેલું હોય અમારી દીકરીઓને, તો એ લોકો મની મેનેજમેન્ટ કરતાં શીખે, ઇવેન્ટ મેનેજમેન્ટ કરતાં શીખે એવા પ્રકારના હેતુથી અમે આ કાર્યક્રમ કર્યો છે. દીકરીઓ પોતે જ આ બધી વિધિવિધાનો અને સંસ્કૃતિઓથી પહેલા માહિતગાર થયા અમે આપણા ગુજરાતની જે ભરવાડ સમાજ છે, પછી પારસી જ્ઞાતિ છે, આ ઉપરાંત અમે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ આ જે દીકરીઓ છે એ અમારી પશ્ચિમ બંગાળની દીકરીઓ છે, આ ઉપરાંત ઉત્તરાંચલ છે, કાશ્મીર છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે આવા જુદા જુદા અમે કુલ 11 રાજ્યોના પ્રોજેક્ટ્સ અહીંયા બનાવ્યા છે. દીકરીઓ પોતે જ આ બધી વિધિવિધાનો અને સંસ્કૃતિઓથી પહેલા માહિતગાર થયા અને આજે જે કોઈ પણ આવશે એમને આ બધી જ માહિતીઓ તેઓ પૂરી પાડશે. આ પ્રસંગે યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ, કુંવરીસા, યુવરાણીસા, રાજવી પરિવાર, સંસ્થાના ટ્રસ્ટીઓ, વિવિધ વિભાગના આચાર્યઓ, શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામ લોકોએ વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું.
અમદાવાદમાં આયોજિત સમારોહના દ્નિતીય દિવસે શરૂઆતમાં આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થીઓએ પ્રાર્થના પ્રસ્તુત કરી બીજા દિવસના પ્રથમ સોપાનમાં U.A.S સ્થિત કોલકત્તાથી પધારેલા પંડિત હિંન્ડોલ મજૂમદારે સોલો તબાલાવાદન તાલ ત્રિતાલમાં પ્રસ્તુત કર્યું જેમાં પરંપાગત તથા ખ્યાતનામ કલાકરોની ગત, કાથદા રેલા, પલ્ટા ચક્રદારની સુંદર પ્રસ્તુતિ કરી, શ્રોતાગણના દિલ જીતી લીધા. તેમની સાથે શ્રી શિશિર ભટ્ટે હાર્મોનિયમ પર સુસંગત કરીબીજા સોપાનમાં કલકત્તાથી પધારેલા પંડિત માલ્થબાન ચેટરજીએ રાગ યમન છેડ્યો વિલંબિત પતાલ, ત્રિતાલ અને રૂપકમાં બંટિશો સાથે ધરાનેદાર, ગુરુ પારંપરિકા તથા મધુર ગાયકીની પ્રસ્તુતિ કરી. તેમની ગાયકીએ સભામાં આહ્લાલાદકવ વાતાવરણ ખડક્યું. તેમની સાથે ભોપાલથી પધારે શ્રી અંશુલ પ્રતાપસિંહે તબલા પર અને શ્રી દિપેશ સુખારે હાર્મોનિયમ પર ખૂબ સરસ સંગત કરી રસિક આરાધના બે દિવસીય ફેસ્ટીવલ શ્રોતાગણે ખુબ માણ્યો
આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તાના નિયમોના ભંગ બદલ ત્રણ વેપારી પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આણંદના સુંદર કાઠીયાવાડી, સહયોગ રેસ્ટોરન્ટ અને ખંભાતના રાણા જીવણલાલ મણીલાલને કુલ રૂ. 3 લાખનો દંડ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદના સુંદર કાઠીયાવાડી, ખંભાતના રાણા જીવણલાલ મણીલાલ અને આણંદના સહયોગ રેસ્ટોરન્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સુંદર કાઠીયાવાડીમાંથી કેરીના રસનો, રાણા જીવણલાલ મણીલાલમાંથી ગોપીશ્રી દેશી ઘીનો અને સહયોગ રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસમાં આ તમામ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. ત્યારબાદ, ફુડ સેફટી ઓફીસર, આણંદ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, આણંદની કોર્ટમાં કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારોને નોટિસ આપી રજૂઆતની તક આપવામાં આવી હતી. તમામ પુરાવાઓ અને રજૂઆતોની ચકાસણી કર્યા બાદ, એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, આણંદની કોર્ટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની કલમ-50 અને 51 મુજબ દંડ ફટકારવાનો આદેશ કર્યો. આ આદેશ મુજબ, સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. 25,000, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. 1,75,000 અને સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. 1,00,000 નો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરહિતમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
મોરબીના જુના ઘૂંટુ રોડ પર આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સોના સિરામિક પાસે નદીના પુલ પર વળાંક લેતી વખતે એક માલ ભરેલા ટ્રકમાંથી વિશાળ કન્ટેનર બાજુમાંથી પસાર થતી સેન્ટ્રો કાર પર પલટી મારી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રક પર લાદેલું ભારેભરખમ કન્ટેનર સીધું જ કાર પર ખાબક્યુંમળતી માહિતી મુજબ, હળવદ તાલુકામાં એક માઠા પ્રસંગમાં હાજરી આપીને ચાર વ્યક્તિ સેન્ટ્રો કારમાં સવાર થઈ મોરબી પરત ફરી રહ્યા હતા. બપોરના આશરે સવા વાગ્યાના અરસામાં જ્યારે તેમની કાર જુના ઘૂંટુ રોડ પર આવેલ સોના સિરામિક સામેના પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે વળાંક પર સામેથી આવતા એક ટ્રક પર લાદેલું ભારેભરખમ કન્ટેનર અચાનક નમી પડ્યું હતું અને સીધું જ કાર પર ખાબક્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોની વિગત ઇજાગ્રસ્તોની વિગત ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળેઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જેસીબી અને અન્ય મશીનરીની મદદથી કન્ટેનર હટાવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર ચક્કાજામ સર્જાયો હતો, જેને પોલીસે વાહનો હટાવી પૂર્વવત કરાવ્યો હતો. સમગ્ર અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
સુરત મનપા દ્વારા ઝાંપા બજાર વિસ્તારમાં આવેલા 'દેવડી મુબારક' પાસેનો જાહેર રસ્તો વાહનવ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરવાના નિર્ણયથી વિવાદ વકર્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વિજય પાનશેરિયાએ આ નિર્ણયને તઘલખી અને જનવિરોધી ગણાવીને મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્યના શહેરી વિકાસ સચિવ અને દાવત પ્રોપર્ટીઝ ટ્રસ્ટને કાનૂની નોટિસ પાઠવી છે. '11 વર્ષ જૂની ફાઈલને ફરી જીવંત કરીને વર્ષ 2025માં નવું કૌભાંડ આચર્યું'વિજય પાનશેરિયાએ આક્ષેપ કર્યો છે કે, 11 વર્ષ જૂની ફાઈલને ફરી જીવંત કરીને વર્ષ 2025માં નવું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ 26 સપ્ટેમ્બર 2025 અને જનરલ બોર્ડે 29 સપ્ટેમ્બર 2025ના રોજ ઠરાવ પસાર કરી આ રસ્તો બંધ કરવાની મંજૂરી આપી છે. પૂર્વ કોર્પોરેટરે ફટકારી કાનૂની નોટિસપાનશેરિયાના મતે, આ નિર્ણય લઈને સ્ટેન્ડિંગ કમિટીએ અંધારામાં તલવાર ચલાવી છે અને જનતાના હિતને નેવે મૂક્યું છે. કાનૂની ઉલ્લંઘન અને લોકોની મુશ્કેલી હાઈકોર્ટના એડવોકેટ ડૉ. હિર્નેશકુમાર ભાવસાર મારફત મોકલાવેલી નોટિસમાં જણાવાયું છે કે આ નિર્ણય GPMC એક્ટની વિવિધ કલમો (203, 204, 206, 210, 284 અને 77)નું સીધું ઉલ્લંઘન છે. રસ્તો બંધ થવાથી આ અસરો થવાની ભીતિ ટેક્સ પેયર્સના પૈસાનો દુરુપયોગપાનશેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપીપુરાની ઓછી કિંમતની જમીનના બદલામાં વધુ કિંમતની જમીનનો લાભ દાવત પ્રોપર્ટીઝ ટ્રસ્ટને આપવામાં આવી રહ્યો છે. આ લેન્ડ રેવન્યુ કોડનું ઉલ્લંઘન છે અને તેનાથી સીધો ફાયદો ટ્રસ્ટને અને નુકસાન સુરતના કરદાતાઓને થઈ રહ્યું છે. હાઈકોર્ટમાં જવાની ચીમકીનોટિસમાં માગ કરવામાં આવી છે કે, SMC અને રાજ્ય સરકાર 15 દિવસમાં આ ઠરાવની સમીક્ષા કરી તેને રદ કરે. જાહેર રસ્તો જનતા માટે ખુલ્લો રાખવામાં આવે. જો 15 દિવસમાં સંતોષકારક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે તેવી ચીમકી વિજય પાનશેરિયાએ ઉચ્ચારી છે.
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલા રેલવે ફાટક પર વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર વચ્ચે દોડતી 20થી વધુ ગુડ્સ ટ્રેનોના કારણે આ ફાટક દિવસમાં અનેકવાર બંધ રહે છે. ફાટક બંધ થવાને કારણે વાહનવ્યવહાર 15 મિનિટ સુધી ખોરવાઈ જાય છે. APMC, સોસાયટી વિસ્તારો અને લલ્લુભાઈ આરોગ્ય મંદિર હોસ્પિટલ સહિત હજારો લોકોની અવરજવરને કારણે અહીં ભારે મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને દર્દીઓને સમયસર સારવાર માટે પહોંચવામાં વિલંબ થાય છે. સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિકોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસી અમિત રાઠોડે જણાવ્યું કે, ખાદીકાર્યાલય વિસ્તારમાં આવેલા આ રેલવે ફાટક પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. લલ્લુભાઈ આરોગ્ય કેન્દ્ર અને માર્કેટિંગ યાર્ડ નજીક હોવાથી વાહનોની અવરજવર વધુ રહે છે. તેમણે ઇમરજન્સી કેસમાં દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. અન્ય સ્થાનિક કનુ ખત્રીએ પણ ફાટકના કારણે થતી અગવડતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સોસાયટીમાં ઘરે જવા માટે પણ લાંબો સમય રાહ જોવી પડે છે. તેમણે સરકારને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરી હતી.
કોરોનાકાળ દરમિયાન પાકિસ્તાનની મરીન સિક્યુરિટી દ્વારા પકડાયેલા ગુજરાતના 197 માછીમારોને હજુ સુધી મુક્તિ મળી નથી. આ મામલે માછીમારોના પરિવારજનો આજે ગાંધીનગર સચિવાલયે પહોંચ્યા હતાં અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું હતું. પરિવારજનોએ નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી માછીમારોને તાત્કાલિક છોડાવવા કેન્દ્ર અને રાજ્ય સ્તરે અસરકારક પ્રયાસોની માગ કરી છે. 6 વર્ષથી રજૂઆતો છતાં કોઈ નિશ્ચિત પરિણામ નહિઆ અંગે પરિવારજનોએ જણાવ્યું કે, ઉના, કોડીનાર અને દીવ વિસ્તારના માછીમારો કોરોનાકાળ દરમિયાન દરિયામાં માછીમારી કરતાં સમયે પાકિસ્તાન નેવી દ્વારા પકડાઈ ગયા હતા. છેલ્લા છ વર્ષથી વારંવાર રજૂઆતો છતાં કોઈ નિશ્ચિત પરિણામ આવ્યું નથી. વિદેશ પ્રવાસે ફસાયેલા નાગરિકોને પરત લાવવા સરકાર પ્રયાસ કરે છે, તો પછી પાકિસ્તાનમાં બંધક બનેલા રાજ્યના માછીમારો માટે કડક કૂટનીતિક પ્રયાસ કેમ નથી? એવો પ્રશ્ન પણ પરિવારજનોએ ઉઠાવ્યો. પરિવારજનોએ સ્પષ્ટ સમયમર્યાદા સાથે પરિણામોની માગ કરીઆવેદનપત્રમાં કેન્દ્ર સરકારને પણ અપીલ કરવામાં આવી છે કે, માનવતાવાદી આધાર પર કોરોનાકાળમાં કેદ થયેલા માછીમારોને છોડાવવા પાકિસ્તાન સાથે સંવાદ ઝડપી કરવામાં આવે. પરિવારજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે, જેથી કેદમાં રહેલા માછીમારોને તેમના પરિવારો પાસે પરત લાવી શકાય. રાજ્ય સરકાર તરફથી માછીમારોની મુક્તિ માટે પ્રયાસોની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. જો કે, પરિવારજનોએ સ્પષ્ટ સમયમર્યાદા સાથે પરિણામોની માગ કરી છે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળો પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે શહેરના ગઢેચીરોડથી રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ નજીક ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડામાં આજ(22 ડિસેમ્બર)રોજ બાઈક સવાર ખાડામાં ખાબક્યો હતો. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને બાઈક સવારને સ્થાનિકો દ્વારા સહી સલામત બહાર કાઢવમાં આવ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. એક સપ્તાહથી કામગીરી ચાલી રહી છેભાવનગર શહેરના ગઢેચી રોડ પાસે આવેલા રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ નજીક મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી એક સપ્તાહથી ચાલી રહી છે. આ ડ્રેનેજની કામગીરી દરમિયાન રસ્તા પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આજે બાઈક સવાર તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો. બંને સાઇડ સાઇનબોર્ડ મુકવા માગસ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સ્થળ પર સાઈનબોર્ડ મુકવામાં આવ્યા છે, પણ તે સાઈડમાં મુકવામાં આવ્યા છે. બન્ને સાઈડ સાઈનબોર્ડ મુકવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
નાગરિકોની અરજીઓ અને ફરિયાદોના ઝડપી તથા પારદર્શક નિવારણ માટે દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં એક દિવલ વહેલો યોજાશે. નાતાલની જાહેર રજાને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2025નો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે બુધવાર તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમ 24 ડિસેમ્બરે યોજાશેભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોને સીધી રજૂઆત કરવાની તક મળશે. નાગરિકો બુધવાર, તા. 24 ડિસેમ્બરે સવારે 8થી 11 દરમિયાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ આવીને પોતાની ફરિયાદો રજૂ કરી શકશે. ક્રિસમસની રજાને લઈ તારીખમાં ફેરફારનરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજાય છે. પરંતુ આ વખતના ચોથા ગુરુવારે એટલે કે તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજા હોવાથી કાર્યક્રમને એક દિવસ અગાઉ યોજવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ બન્યોબુધવારે બપોર બાદ મુખ્યમંત્રી સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી માટે દિશાનિર્દેશ આપશે. રાજ્ય સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ બન્યો હોવાનું પણ અધિકારીઓનું કહેવું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે વહેલી સવારે લોહિયાળ ઘટના બનતા સમગ્ર તંત્રમાં ચકચાર મચી ગઈ છે. નસિંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉપ-પ્રમુખ અને જાણીતા સેવાભાવી અગ્રણી ઈકબાલ કડીવાલા પર એક માથાભારે ઈસમે ચપ્પુ અને ઢીકમુક્કી વડે હુમલો કર્યો હતો. જોકે, સદનસીબે ઈકબાલભાઈનો આબાદ બચાવ થયો છે અને હુમલાખોરને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે શખ્સે જીવલેણ હુમલો કર્યોખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નર્સિંગ કાઉન્સિલના ઉપ-પ્રમુખ ઈકબાલ કડીવાલાને આજે કોઈ અગત્યના કામકાજ અર્થે અમદાવાદ જવાનું હતું. આ માટે તેઓ વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ઉભા હતા. તેઓ મુસાફરીની તૈયારીમાં હતા ત્યારે જ અચાનક ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો. ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી કાંઈ પણ સમજાય તે પહેલા જ ચેતને ઈકબાલભાઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરે તેમના ચહેરા પર આડેધડ ઢીકમુક્કીનો માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી હતી. અચાનક થયેલા આ હુમલાથી ઈકબાલભાઈ વિચલિત થઈ ગયા હતા, પરંતુ તેમણે સમયસૂચકતા વાપરી બચાવ કરતા ચપ્પુનો ઘા વાગતા રહી ગયો હતો. હુમલાખોર સિવિલ હોસ્પિટલનો ભૂતપૂર્વ ડ્રાઈવરહુમલો કર્યા બાદ ચેતન સોલંકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, આસપાસના લોકો અને હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. જાણવા મળ્યું છે કે હુમલાખોર ચેતન સોલંકી અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રેક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. જૂની અદાવતમાં બદલાની આશંકાચેતન અવારનવાર વિવાદોમાં રહેતો હોવાથી તેને ડ્રાઈવરની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેનું તે ખુન્નસ રાખતો હતો.ચેતનની પત્ની સાથે પણ છૂટાછેડાની મેટર ચાલી રહી હતી અને તેની માતા પણ અગાઉ આ જ હોસ્પિટલમાં નોકરી કરતી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો જૂની અદાવત કે નોકરીમાંથી કાઢી મુકાયાના રોષમાં કરવામાં આવ્યો હોવાનું મનાય છે. મજૂરાગેટ નજીકથી આરોપી ઝડપાયોહુમલો કરીને ભાગી રહેલા ચેતન સોલંકીનો પીછો કરવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેને મજૂરાગેટ નજીકથી લોકોની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈકબાલ કડીવાલાને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ઈકબાલભાઈએ પોતે ખટોદરા પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવી હતી. હાલમાં ખટોદરા પોલીસે હુમલાખોર ચેતન સોલંકીને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ જેવા સુરક્ષિત મનાતા કેમ્પસમાં વહેલી સવારે આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ નગરપાલિકા, બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે જંબુસર બાયપાસથી મહોમદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું. આ કાર્યવાહી શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા. લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી. કેટલાક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ, દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વારંવાર લારી-ગલ્લા હટાવાતા હોવાથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. વેપારીઓએ પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી હતી. વેપારીઓએ તે બદલ માસિક અથવા દૈનિક ભાડું ચૂકવવા પણ તૈયારી દર્શાવી હતી, જેથી વારંવારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.
વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં નગરપાલિકાની નવી ડમ્પિંગ સાઈટના વિરોધમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની ચિંતાઓ રજૂ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો શહેરમાં જગ્યા ન હોય તો ભલે કલેક્ટર કચેરી અમારા ગામમાં બનાવો પરંતું કચરાના ઢગલા અમારા ગામમાં ન કરશો. બીજી તરફ અહીં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે નવી ડમ્પિંગ સાઈટની શોધ ચાલી રહી છે. આ અંતર્ગત ઓવાડા ગામની સરકારી જમીન પર ડમ્પિંગ સાઈટ બનાવવાની હિલચાલ શરૂ થતાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. 'ડમ્પિંગ સાઈટથી ખેતીને મોટું નુકસાન થશે'ઓવાડા ગામના રહીશ નિમેષ મનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વલસાડ શહેરનો કચરો, ગુંદલાવ GIDCનો કેમિકલયુક્ત કચરો અને મૃત જાનવરો ઓવાડા ગામે ઠાલવવાની વાત ચાલી રહી છે. ગામની 90% વસ્તી ખેતી પર નિર્ભર છે. ડમ્પિંગ સાઈટને કારણે ફેલાતી દુર્ગંધ, રખડતા ઢોરો અને ડુક્કરોનો ત્રાસ વધવાથી ખેતીને મોટું નુકસાન થશે. ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીગ્રામજનોનો આરોપ છે કે અગાઉ 17 તારીખે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ જમીન સરકારી હોવાનું કહેવામાં આવ્યું હતું. આના જવાબમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જો શહેરમાં જગ્યા ન હોય તો કલેક્ટરની કોઠી અને સરકારી ક્વાર્ટર્સ અમારા ગામમાં બનાવો, અમે જગ્યા આપીશું, પણ શહેરનો કચરો અમારા ગામમાં નહીં ચલાવી લઈએ. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા અને આમરણાંત ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં માત્ર જગ્યાની શોધખોળ ચાલી રહી છે: કલેક્ટરઆ મામલે વલસાડ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, નગરપાલિકા માટે સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો ફરજિયાત છે. આ પ્લાન્ટ દ્વારા કચરામાંથી ખાતર બનાવવામાં આવશે જે ખેતી માટે ઉપયોગી થશે. હાલમાં માત્ર જગ્યાની શોધખોળ ચાલી રહી છે. ગ્રામજનોને ડર છે કે નજીકમાં ખેતરો અને ઘરો હોવાથી દુર્ગંધ આવશે, તેથી તેમની રજૂઆતને ધ્યાને રાખીને નગરપાલિકાને એવી સૂચના આપવામાં આવશે કે લોકોનું જાહેર હિત જળવાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે આગળની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં વલસાડ નગરપાલિકાની સાથે આસપાસની નાની ગ્રામ પંચાયતોનો કચરો પણ આ નિર્ધારિત સાઈટ પર પ્રોસેસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને નવનાત વણિક સમાજ વચ્ચે 'કાપડની થેલી'ના વેન્ડિંગ મશીન સ્થાપવા માટે એક સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત શહેરના જાહેર સ્થળો અને મુખ્ય બજારોમાં અત્યંત નજીવા ટોકન ચાર્જથી કાપડની થેલીઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવ ચોકસીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર માત્ર સ્વચ્છતાનું જ નહીં, પરંતુ ગાય અને અબોલ પશુઓની રક્ષા માટે 'જીવદયા'નું પણ અભિયાન છે. પ્લાસ્ટિકના જોખમથી અબોલ પશુઓને બચાવવા માટે આ એક સરાહનીય કદમ છે. ગુજરાત સરકારની સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી રાજ્યના વિકાસનું એન્જિન બની રહી છે. આ નીતિનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને નવતર વિચારો દ્વારા સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. સુરેન્દ્રનગરમાં કાપડની થેલી માટેના વેન્ડિંગ મશીનનો પ્રોજેક્ટ આવા 'સોશિયલ ઈનોવેશન'નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ-2026ના પ્લેટફોર્મ પર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં આ MOU કરવામાં આવ્યા હતા. વડોદરાના સફળ મોડલને અનુસરીને સુરેન્દ્રનગરમાં વેન્ડિંગ મશીન મુકવાનો નિર્ણય શહેરી વિકાસમાં 'સ્માર્ટ ગવર્નન્સ'નો એક ભાગ છે. આ મશીનો દ્વારા લોકોની આદતોમાં સકારાત્મક પરિવર્તન આવશે અને પ્લાસ્ટિકનો વપરાશ આપોઆપ ઘટશે. આ પ્રકારના વેન્ડિંગ મશીનોનું નિર્માણ અને તેની જાળવણી સ્થાનિક સ્તરે રોજગારી અને નવા ઉદ્યોગ સાહસિકો માટે નવી તકો ઊભી કરશે. સરકારની નીતિ મુજબ, આવા ઈનોવેટિવ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપીને સુરેન્દ્રનગર જિલ્લાએ ટકાઉ વિકાસ તરફ ડગ માંડ્યું છે. આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો અને સંવેદનશીલ પાસું 'જીવદયા' છે. નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવ ચોકસીના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર એ માત્ર સ્વચ્છતાનું જ નહીં, પણ ગાય અને અબોલ પશુઓની રક્ષા માટેનું પણ અભિયાન છે. બજારોમાં ફેંકાયેલું પ્લાસ્ટિક અજાણતા ગાયો કે અન્ય પશુઓના પેટમાં જાય છે, જે તેમના માટે જીવલેણ બને છે. જ્યારે ઈનોવેશન કરુણા અને જીવદયા સાથે જોડાય છે, ત્યારે તે સમાજ માટે આશીર્વાદરૂપ બને છે. આમ, આ MOU દ્વારા સુરેન્દ્રનગર માત્ર સ્વચ્છ જ નહીં, પણ સંવેદનશીલ શહેર તરીકે પણ સ્થાપિત થશે. આ MOU દર્શાવે છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે માત્ર મોટા ઉદ્યોગો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે છેવાડાના માનવીના જીવનધોરણને સુધારવા અને પર્યાવરણના પ્રશ્નોને હલ કરવાનું એક સબળ પ્લેટફોર્મ બની ગઈ છે. સ્ટાર્ટ-અપ અને ઈનોવેશનની થીમ પર આધારિત આ અભિગમ આગામી સમયમાં સુરેન્દ્રનગરને રાજ્યના સૌથી સ્વચ્છ અને પર્યાવરણપ્રેમી જિલ્લાઓની હરોળમાં મૂકશે.

27 C