SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

ધારીમાં AAPની કિસાન યાત્રા:ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા યાત્રામાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી

અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કિસાન યાત્રા અને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા ધારીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જોડાયા હતા. યાત્રામાં ગોપાલ ઈટાલિયા ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળ્યા હતા. યાત્રા બાદ પ્રેમપરા ખાતે કિસાન ન્યાય યાત્રા અંતર્ગત જંગી સભા યોજાઈ રહી છે. ધારી, બગસરા અને ખાંભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, બ્રિજરાજ સોલંકી, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજ સોલંકી અને કાંતિ સતાસીયા સહિત સ્થાનિક ગામડાના સરપંચો અને ઉપસરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ સામે આકરા આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લામાં રાજકીય રીતે સક્રિય બની છે. થોડા દિવસો પહેલા અમરેલી શહેરમાં પણ AAP દ્વારા મહાપંચાયત યોજી સભા કરવામાં આવી હતી, જે બાદ હવે ધારી વિધાનસભા બેઠક પર આ કાર્યક્રમ યોજાયો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:55 pm

આજથી શરુ કાંકરિયા કાર્નિવલ:નવા આકર્ષણો સાથે 31 ડિસેમ્બર સુધી ચાલશે કાર્નિવલ, વિધાનસભા ઉપાધ્યક્ષનું રાજીનામુ, પાંચ વર્ષના પુત્ર સાથે મહિલાની 14માં માળેથી છલાંગ

કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરુ... આ વખતે કાર્નિવલમાં પાયરો શો, પેટ ફેશન શો જેવા નવા આકર્ષણો જોવા મળશે. કાર્નિવલને પગલે કાંકરિયા લેકની આસપાસના કેટલાક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ વર્ષના પુત્ર સાથે મહિલાની મોતની છલાંગ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં એક મહિલાએ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 14માં માળેથી પડતું મુક્યું. પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે મહિલા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મહિલાની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું રાજીનામુ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી પદ પરથી રાજીનામુ આપ્યું. અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ ,પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં રાજીનામુ આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'મને ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ' ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રુ.નો તોડ કરવાનો આક્ષેપ કર્યો.એટલું જ નહીં કલેક્ટરના વલણથી રોષે ભરાઈ મનસુખ વસાવાએ પોતાને ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની ચીમકી ઉચ્ચારી .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 13 હજાર 591 જગ્યાઓ માટે 14 લાખથી વધુ અરજી ગુજરાત પોલીસના PSI અને LRDની 13,591 જગ્યાઓ માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી..આ ઐતિહાસિક આંકડા સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અષ્ટમી પૂજા પર રોક મામલે સુપ્રીમમાં જશે દાંતાના રાજવી અંબાજીમાં 850 વર્ષથી ચાલતી નવરાત્રીની અષ્ટમી પૂજા પર રોક લગાવતા દાંતાના રાજવીએ હાઈકોર્ટના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે જો વીઆઈપી દર્શન યોગ્ય હોય તો આ પૂજા અયોગ્ય કઈ રીતે હોઈ શકે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ વાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજલાઈનના સમારકામ દરમિયાન વીજકર્મીનું મોત ગોંડલમાં વીજ લાઈનના સમારકામ દરમિયાન એક વીજકર્મીનું વીજ પોલ પર જ મોત થયું.અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા કર્મચારીનું મોત થયું. મૃતક મૂળ રાજસ્થાનનો હતો અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 31st પહેલા SOGએ અમદાવાદમાં તપાસ હાથ ધરી 31st પહેલા જ અમદાવાદના SG હાઈવે પર SOGએ તપાસ હાથ ધરી..ભર બપોરે નશેડીઓને પકડવા ડ્રગ્સ એનાલાઇઝર કીટથી લોકોના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી ઝડપાયો હાઈડ્રોપોનિક ગાંજો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજો પકડાયો.. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મહિલા પાસેથી 1 કરોડથી વધુનો 3 કિલો ગાંજો ઝડપાયો. મહિલાની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ધીમે ધીમે શરુ થયો ઠંડીનો ચમકારો ડબલ સિઝનના અનુભવ વચ્ચે નલિયામાં તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 10.3 ડિગ્રી નોંધાયું. તો ડીસાના તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:55 pm

ગિરનાર પર્વત પર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું:નાતાલ પર્વે ગિરનાર પર પ્રકૃતિ અને પરમેશ્વરનો સંગમ માણવા હજારો પ્રવાસીઓ પહોંચ્યા,માં અંબા તથા દત્ત ભગવાનના દર્શન કર્યા, વાતાવરણ અલૌકિક બન્યું

પર્વતોના રાજા અને હિમાલયના દાદા તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર નાતાલના વેકેશનને લઈ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઠંડીની ગુલાબી મોસમ અને રજાઓના સંગમે જૂનાગઢને જાણે પ્રવાસીઓનું કેન્દ્ર બનાવી દીધું છે. વહેલી સવારથી જ ગિરનારની તળેટીથી લઈને માં અંબાના શિખર સુધી ‘જય ગિરનારી’ ના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશના ખૂણેખૂણેથી પ્રવાસીઓ આ અલૌકિક અનુભૂતિનો હિસ્સો બનવા પહોંચ્યા છે. ​ગિરનાર પ્રવાસીઓની પહેલી પસંદ ​આજના આધુનિક યુગમાં જ્યાં લોકો કૃત્રિમ રિસોર્ટ પાછળ દોડી રહ્યા છે, ત્યાં ગિરનાર પર્વત તેની અદભૂત પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક શક્તિને કારણે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે. અહીં પ્રકૃતિ અને પરમેશ્વરનો એવો અદભૂત સમન્વય જોવા મળે છે કે જે પ્રવાસીઓના મન-મગજને શાંતિ અર્પે છે. વહેલી સવારે જ્યારે ધુમ્મસની ચાદર ઓઢીને પર્વત બિરાજમાન હોય છે, ત્યારે વાદળો જાણે પ્રવાસીઓ સાથે વાતો કરતા હોય તેવો ભાસ થાય છે. આ પ્રકૃતિના ખોળામાં વિતાવેલી ક્ષણો પ્રવાસીઓ માટે જીવનભરનું ભાથું બની રહે છે. ભક્તિ, સાહસ અને કુદરતની આ ત્રિવેણી સંગમ જ ગિરનારને વિશ્વભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. ​રોપ-વે સુવિધા બન્યું આશીર્વાદ, વૃદ્ધોએ પણ લીધો લહાવો ​એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની સુવિધા શરૂ થતા હવે યાત્રિકો માટે માં અંબાના દર્શન અત્યંત સરળ બન્યા છે. નાતાલની રજાને લઈ રોપ-વે પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રોપ-વે સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે પીવાના પાણી, જમવા અને ખાસ કરીને વૃદ્ધો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર ૧૦ મિનિટની રોપ-વે સફર દરમિયાન ગિરનારની ખાઈઓ અને જંગલના દ્રશ્યો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. ​અંબાજીથી દત્ત શિખર સુધી ભક્તિનો માહોલ ​માં અંબાના મંદિરે દર્શન કર્યા બાદ હજારો શ્રદ્ધાળુઓ ધીમે ધીમે પગથિયાં ચઢીને ગુરુ દત્તાત્રેયના શિખરે પહોંચ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં જરાય કમી જોવા મળી નહોતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે ચા-પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ​પ્રવાસીઓએ કહ્યુ ગિરનાર જેવું ક્યાંય નથી' ​પુનાથી આવેલા યોગેશ ગાયકવાડે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે અમે મિત્રોના ગ્રુપ સાથે અહીં આવ્યા છીએ. Lરોપ-વેથી માં અંબાના દર્શન કર્યા અને પછી દત્ત શિખર સુધીનો પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. અહીંના લોકોનો સ્વભાવ અને આતિથ્ય સત્કાર દિલ જીતી લે તેવો છે. ભારતના દરેક નાગરિકે જીવનમાં એકવાર ગિરનાર અચૂક આવવું જોઈએ.તેવી જ રીતે પાટણથી આવેલા ડો. કિરીટ પટેલે જણાવ્યું કે અમે રોપ-વે સુવિધાનો લાભ લીધો, જે ખૂબ જ સુંદર છે. અહીંના રમણીય દ્રશ્યો જોઈને લાગે છે કે આપણે કોઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. જે લોકો રજાઓમાં બહાર વિદેશ કે અન્ય સ્થળોએ જાય છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે એકવાર આપણા ગરવા ગિરનારની મુલાકાત જરૂર લો. ​પ્લાસ્ટિક મુક્ત ગિરનારની અપીલ ​ગિરનારની સુંદરતા જળવાઈ રહે તે માટે રોપ-વે સંચાલકો અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે. પર્વત પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ગંદકી ન ફેલાવવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરી ગિરનારની પવિત્રતા જાળવવા સહકાર આપ્યો હતો. ​ગિરનારની સાથે સાથે પ્રવાસીઓએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈ રજાઓની ભરપૂર મજા માણી હતી. ખરેખર, આ નાતાલ પર્વ જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ આશાસ્પદ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:51 pm

ગોધરા સહિત જિલ્લામાં હજારો ખ્રિસ્તીઓએ નાતાલ પર્વ ઉજવ્યું:પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિન નિમિત્તે વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ

ગોધરા શહેર અને જિલ્લાભરમાં હજારો ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ વિવિધ ચર્ચોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.ગોધરા શહેરમાં આવેલા ઈલોહિમ મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ્રલ મેથોડિસ્ટ ચર્ચ, મધર મેરી કેથોલિક ચર્ચ, ફૈથ ચર્ચ, હાલેલુયા ચર્ચ સહિત જિલ્લાના અનેક દેવળોમાં ખ્રિસ્તી બિરાદરોએ પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ સૌએ એકબીજાને 'મેરી ક્રિસમસ' કહી શુભેચ્છાઓ પાઠવી હતી. નાતાલ પર્વને કારણે શહેરમાં હજારો કિલો કેકનું વેચાણ થયું હતું, અને વેપારીઓ આગામી 31 ડિસેમ્બર સુધી કેકની માંગ રહેવાની આશા રાખી રહ્યા છે. નાતાલના દિવસે સવારે 8:00 થી 12:00 કલાક દરમિયાન દરેક ચર્ચમાં વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ સભાઓમાં ખ્રિસ્તી ભાઈ-બહેનોએ એકબીજાને પ્રભુ ઈસુના જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. લોકોને પ્રભુ ઈસુએ આપેલો પ્રેમ અને માફીનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. વિવિધ મંડળો દ્વારા દાન સ્વરૂપે ગરીબોને કપડાં, મીઠાઈ, અનાજ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ક્રિસમસ નિમિત્તે ઘણા સ્થળોએ ખ્રિસ્તી પરિવારો દ્વારા ઘરોમાં કે ચર્ચમાં કલાત્મક અને પ્રતિકાત્મક ગભાણ બનાવવામાં આવ્યા હતા. આ ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઝાંખી કરાવતા દ્રશ્યોનું નિર્માણ કરાયું હતું, જે ઈસુ ખ્રિસ્તનો જન્મ પશુઓને રાખવામાં આવતા ગભાણમાં થયો હતો તેની યાદ તાજી કરાવે છે. ખ્રિસ્તી પરિવારોએ ફટાકડા ફોડીને પણ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. ગોધરા ડિસ્ટ્રિક્ટના વિવિધ ચર્ચમાં નાતાલની વિશેષ સભાનું આયોજન એલોહિમ મેથોડિસ્ટ ચર્ચના પાળક અને ગોધરા ડિસ્ટ્રિક્ટના ડી.એસ. રેવ આશિષ રાઠોડની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું. શહેર સહિત જિલ્લાભરમાં 1લી જાન્યુઆરી, 2026 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:48 pm

હિંમતનગર કલેક્ટર કચેરીમાં સુશાસન દિવસની ઉજવણી:પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. સુશાસન દિવસનો મુખ્ય હેતુ સરકારની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને વહીવટી તંત્રને જનતા પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે. ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કર્મચારીઓના કૌશલ્ય વર્ધન માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ તાલીમ અભિયાનની પ્રથમ બેચનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત જિલ્લા તિજોરી કચેરી તથા પેટા તિજોરી કચેરી મારફતે પગાર મેળવતા જિલ્લાના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે ‘ક્ષમતા નિર્માણ’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચ આગામી 29 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. કાર્યક્રમ દરમિયાન અટલજીના જીવન મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા. સુશાસનનો અર્થ માત્ર વહીવટ કરવો જ નહીં, પરંતુ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. વહીવટી પ્રક્રિયામાં વધુ આધુનિકતા અને સંવેદનશીલતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. અરજદારોના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અને લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:46 pm

મુળીના ભેટ ગામે ગેરકાયદેસર કોલસાના કૂવાની ચકાસણી:નાયબ કલેક્ટરે બુરાણ કરેલા કૂવા ફરી ચાલુ ન થાય તેની ખાતરી કરી

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના ભેટ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરાવ્યા બાદ, તે ફરીથી ચાલુ ન થાય તેની ખાતરી કરવા સ્થળ પર ચકાસણી કરી હતી. અગાઉ, નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કાર્ય શરૂ કરાયું હતું. આ કામગીરી ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં તમામ સક્રિય ગેરકાયદેસર કૂવાઓ ભરી દેવાયા હતા. ગત તારીખ 03/12/2025ના રોજ, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35માં આવેલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓ (ખાડાઓ) પર દરોડો પાડી જપ્ત કર્યા હતા. આ કૂવાઓનું બુરાણ કાર્ય 05/12/2025 ના રોજ વહેલી સવારથી બે લોડર મશીનની મદદથી શરૂ કરવામાં આવ્યું હતું. કુલ 25 ગેરકાયદેસર સક્રિય કોલસાના કૂવાઓનું બુરાણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દ્વારા ભેટ ગામમાં તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ બંધ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:38 pm

મોરબીમાં ક્રિસમસને બદલે તુલસી દિવસ ઉજવાયો:સાર્થક વિદ્યા મંદિરે ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ડેને બદલે “તુલસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો દ્વારા તુલસીના મહત્વને સમજાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વર્તમાન શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને ઉજાગર કરતી કૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. શાળા છેલ્લા 10 વર્ષથી આ રીતે તુલસી દિવસની ઉજવણી કરી રહી છે. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનું ઔષધીય મહત્વ પણ ઘણું છે. શાળાનો ઉદ્દેશ્ય લોકોને તુલસી પ્રત્યે જાગૃત કરવાનો છે. વિદ્યાર્થીઓએ એક પ્રદર્શન તૈયાર કર્યું હતું, જેમાં માનવ જીવનમાં તુલસીનું મહત્વ અને તેના દૈનિક ઉપયોગથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ કાગળા વૃંદા અને રાઠોડ દ્રષ્ટિ તેમજ વાલીઓ પુરોહિત કાજલબેન અને કરડાણી જલ્પાએ જણાવ્યું હતું કે, ક્રિસમસ ટ્રીની જેમ ભવિષ્યમાં લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીને શણગારીને તેનું જતન કરે તેવો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને તુલસીના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:30 pm

ડિજિટલ એરેસ્ટથી છોડાવી 27 લાખ બચાવ્યા:સેનાની ગુપ્ત માહિતી દુશ્મન દેશને પહોંચાડો છો કહી વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા

અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવી મહિલાના 27 લાખ રૂપિયા બચાવ્યા છે. સાયબર ગઠિયાઓએ મહિલાને ATS અને NIAના અધિકારીની ઓળખ આપીને ભારતીય સેનાની ગુપ્ત માહિતી દુશ્મન દેશ સુધી પહોંચાડો છો તેમ કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જે બાદ મહિલા પાસેથી તેમની તમામ બચત અને FD તોડાવી 27 લાખ રૂપિયા અન્ય ખાતામાં જમા કરાવવાનું કહ્યું હતું. જેથી, મહિલા પૈસા જમા કરાવવા બેંકમાં પહોંચ્યા હતા પરંતુ, બેંકના અધિકારીને શંકા જતા તેમણે સાયબર ક્રાઈમને જાણ કરી હતી. સાયબરની એક ટીમ તાત્કાલિક બેંકમાં પહોંચી હતી અને મહિલાના 27 લાખ રૂપિયા ટ્રાન્સફર થતા બચાવી લીધા હતા. મહિલાએ FD વીડ્રો કરવામાં ઊતાવળ કરતા બેંક કર્મચારીને શંકા ગઈસાબરમતી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલા બેંક ઓફ બરોડામાં 27 લાખ રૂપિયાનું RTGS કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન બેંકમાં કામ કરતા હર્ષદ પરમારને ધ્યાને આવ્યું હતું કે, મહિલા તેમના તમામ FD વીડ્રો કરી રહ્યા છે અને આ પૈસા અજાણ્યા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે ઉતાવળ કરી રહ્યા છે. જે એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાના છે તે એકાઉન્ટ પણ શંકાસ્પદ લાગતું હતું. જેથી, હર્ષદ પરમારે તેમના બેંકના મેનેજર દિલીપ ચૌહાણને જાણ કરી હતી. દિલીપ ચૌહાણને શંકા જતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમને જાણ કરી હતી. સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયા દ્વારા એક ટીમ બેંકમાં રવાના કરી હતી. ACP હાર્દિક માકડીયા દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુંPSI ઈશ્વર પટેલ અને તેમની ટીમ બેંક ઓફ બરોડામાં પહોંચી હતી. જ્યાં તેમણે મહિલા સાથે વાતચીત કરી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, મહિલાને ડિજિટલ એરેસ્ટનામે 27 લાખ રૂપિયા અજાણ્યા બેન્ક એકાઉન્ટમાં જમા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.જેથી તેમને મહિલાને પૈસા ટ્રાન્સફર કરતા રોક્યા હતા અને ડિજિટલ એરેસ્ટ જેવું કોઈ હોતું નથી તેવું સમજાવ્યું હતું.જે બાદ મહિલાને સાઇબર ક્રાઈમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ACP હાર્દિક માકડીયા દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને મહિલાને સતત NIA તરીકે ઓળખ આપીને કોલ કરતા સાયબર ઠગને હાર્દિકમાં માકડિયાએ જવાબ પણ આપ્યો હતો. અજાણ્યા વ્યક્તિએ દિલ્હી એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી હતી સાયબર ક્રાઇમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઈ હતી કે, મહિલા ઉપર થોડા દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.જેમાં કોલ કરનાર વ્યક્તિએ પોતે દિલ્હી એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને મહિલાને જણાવ્યું હતું કે, તેમના ફોનથી ભારતીય સેનાના 21 કોન્ફિડેન્શિયલ ફોટો,17 આર્મી ઓફિસરના આઇડી કાર્ડ,7 એટીએમ કાર્ડ પંજાબ મારફતે પાકિસ્તાન બોર્ડર ખાતે મોકલવામાં આવેલ છે.આ કેસમાં આસિફ ફોજી નામના વ્યક્તિની ધરપકડ થઈ છે અને તેણે મહિલાનું નામ આપ્યું છે. પાકિસ્તાન બોર્ડર પર મહિલાઓ મની લોન્ડ્રિંગ કરે છે અને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી HDFC બેન્કમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે,જેમાં 50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.જેથી મહિલા વિરુદ્ધ સમન્સ કાઢવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું. મહિલાને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓ તેમની રોજની કામગીરી અને વર્તનમાં કોઈને શંકા ન જાય તે રીતે કરતા જ રહે. રોજ તેમને તેઓ સલામત છે એવો મેસેજ કરવાનો હતો. સાઇબર ક્રાઇમની સમજાવટ બાદ મહિલાના 27 લાખ રૂપિયા બચી ગયા હતાગઠિયાઓએ મહિલાને કહ્યું હતું કે, તમારી પાસે રહેલા તમામ નાણા અને ફિક્સ ડિપોઝિટ RBI દ્વારા વેરિફાઇડ કરવાની છે, જેથી તમે એક એકાઉન્ટમાં તમામ રકમ ટ્રાન્સફર કરજો.જેથી મહિલા ડરીને 27 લાખ રૂપિયા અજાણ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ગયા હતા.જોકે બેંકના કર્મચારીઓની સમય સૂચકતા અને સાઇબર ક્રાઇમની સમજાવટ બાદ મહિલાના 27 લાખ રૂપિયા બચી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:28 pm

સુરતમાં 'પેકર્સ એન્ડ મૂવર્સ'ની આડમાં 200 કરોડનો હવાલા કારોબાર:માસ્ટરમાઇન્ડ પ્રતીક ને દુબઈ 'બિગ બ્રો'ની ખતરનાક માયાજાળ, કરોડોની કેશ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દુબઈ મોકલાતી

સુરતના ડીંડોલીમાં 'ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ'ના નામે ચાલતી દુકાન વાસ્તવમાં સામાનની હેરફેર નહીં, પણ કાળા નાણાંની હેરફેરનું હબ બની ગઈ હતી. ગ્રીનવેલી બિલ્ડિંગના પહેલા માળે આશરે બે વર્ષથી ધમધમતા આ 200 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ કરતા જ SOG પણ ચોંકી ઉઠી છે. મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવાએ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બિઝનેસનું એવું મહોરું પહેર્યું હતું, જેની પાછળ તે દેશના નાણાકીય તંત્રને નુકસાન પહોંચાડી રહ્યો હતો. દુબઈમાં બેઠેલો 'બિગ બ્રો' નામનો રહસ્યમય શખ્સ સુરતના આ નેટવર્કનો અસલી કંટ્રોલર હતો. તે મુખ્ય આરોપી પ્રતીક વસાવાને એપીકે (APK) ફાઈલ મોકલીને સુરતના ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સનો સીધો એક્સેસ મેળવી લેતો હતો. ટેકનોલોજીનો આવો દુરૂપયોગ કરીને તે ગેમિંગ અને શેરબજારના નામે છેતરાયેલા લોકોના કરોડો રૂપિયા સીધા પ્રતીક વસાવા દ્વારા મેનેજ કરવામાં આવતા ખાતાઓમાં જમા કરાવતો હતો. નબળા લોકોના બેંક એકાઉન્ટ્સ માત્ર 20 થી 25 હજારમાં ભાડે લેતો પ્રતીકપ્રતીક વસાવાની કાર્યપદ્ધતિ એકદમ અલગ હતી. તે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા લોકોના બેંક એકાઉન્ટ્સ માત્ર 20 થી 25 હજારમાં ભાડે લેતો હતો. આ 'મ્યુલ એકાઉન્ટ્સ'માં જ્યારે કરોડો રૂપિયા જમા થતા, ત્યારે તે રકમ પહેલાં સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી અને પ્રતીક પોતે આ તમામ રકમ રોકડમાં ઉપાડી લેતો હતો. આ પ્રક્રિયા એટલી ઝડપી હતી કે સાયબર ક્રાઈમ ટીમ એલર્ટ થાય તે પહેલા જ નાણાં સિસ્ટમની બહાર નીકળી જતા. સલીમ આ કરોડોની રોકડના બદલામાં ક્રિપ્ટો કરન્સી ખરીદી આપતોતપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આ રોકડને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે મોકલવામાં આવતી હતી. પ્રતીક વસાવા લિંબાયતના સલીમ ઉર્ફે સમીરનો સંપર્ક કરતો હતો. સલીમ આ કરોડોની રોકડના બદલામાં યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી ખરીદી આપતો. આ ડિજિટલ કરન્સી પ્રતીક દ્વારા સીધી દુબઈમાં બેઠેલા 'બિગ બ્રો'ના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ રીતે ભારતીય ચલણ હવાલા દ્વારા ક્રિપ્ટોમાં રૂપાંતરિત થઈ દુબઈ પહોંચતું હતું. આ રેકેટનો રિયલ માસ્ટરમાઇન્ડ પ્રતીક વસાવા કોઈ સામાન્ય આરોપી નથી, પણ રીઢો ગુનેગાર છે. સાયબર ફ્રોડના કેસમાં 90 દિવસ જેલમાં વીતાવ્યા હોવા છતાં, જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી ગુનાખોરીનો માર્ગ પકડ્યો હતો. તેની સામે નોંધાયેલા 6 ગુનાઓ તેની ગુનાહિત માનસિકતાની સાક્ષી પૂરે છે. જેલમાં જઈને સુધરવાને બદલે તેણે હવાલાના કાળા કારોબારને વધુ મોટો અને ડિજિટલ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. પ્રતીક પોતાના જ મિત્રની પત્નીને બ્લેકમેલ કરવાનો આરોપીપ્રતીક વસાવાની નૈતિકતા કેટલી હદે નીચી હતી તેનો પુરાવો એ છે કે તેની સામે નોંધાયેલા ગુનાઓમાં પોતાના જ મિત્રની પત્નીને બ્લેકમેલ કરવાનો ગંભીર ગુનો પણ સામેલ છે. જે વ્યક્તિ પોતાના મિત્રના પરિવારને નથી છોડી શકતી, તેણે સેંકડો સામાન્ય લોકોના ભાડે લીધેલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશને કરોડોનો ચૂનો લગાવ્યો છે. સુરતના અનેક વ્યાપારીઓના નામ પણ ખૂલી શકેહાલમાં SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની ટીમ પ્રતીક વસાવાના તમામ 'મોટા માથાઓ' અને સંપર્કોની વિગતો ફંફોસી રહી છે. પોલીસને શંકા છે કે સુરતના કેટલાક વગદાર લોકો પ્રતીકને આર્થિક વ્યવહારોમાં અને પોલીસથી બચવા માટે સંરક્ષણ પૂરું પાડતા હતા. આગામી દિવસોમાં આ હવાલા રેકેટમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના છે, જેમાં સુરતના અનેક વ્યાપારીઓના નામ પણ ખૂલી શકે છે. ગેંગ દુબઈ અને ચીન સુધી ફેલાયેલા તાર સાથે છેતરપિંડી આચરતીછેલ્લા બે વર્ષથી સક્રિય આ ગેંગ પેકર્સ એન્ડ મૂવર્સના વ્યવસાયના ઓથા હેઠળ દુબઈ અને ચીન સુધી ફેલાયેલા તાર સાથે છેતરપિંડી આચરતી હતી. પોલીસે સ્થળ પરથી પ્રતીક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલની ધરપકડ કરી છે, જેઓ દુબઈમાં બેઠેલા ‘બિગ બ્રો’ નામના મુખ્ય સૂત્રધારના ઈશારે ભારતમાં નેટવર્ક ઓપરેટ કરતા હતા. 14 બેંક એકાઉન્ટ્સ દેશભરના 71 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલાઆ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત સુવ્યવસ્થિત હતી. તેઓ આર્થિક રીતે નબળા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, નજીવી રકમના બદલામાં તેમની ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમકાર્ડ મેળવી લેતા હતા. તપાસમાં ખુલ્યું છે કે આ જપ્ત કરાયેલા 14 બેંક એકાઉન્ટ્સ દેશભરના 71 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલા છે. આ ટોળકી ટેલિગ્રામ દ્વારા ચાઈનીઝ ગેંગના સંપર્કમાં રહીને સૂચનાઓ મેળવતી હતી અને સાયબર ફ્રોડના નાણાંને પકડાઈ જવાની બીકે 'યુએસડીટી' (USDT) જેવી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી હવાલા મારફતે વિદેશ મોકલી આપતી હતી. હોન્ડા સિટી કાર અને 7 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યોઆ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી 10.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 7 મોબાઈલ, 2 કોમ્પ્યુટર, 7 ડેબિટ કાર્ડ અને એક હોન્ડા સિટી કારનો સમાવેશ થાય છે. આરોપીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી નકલી ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો અને યુઝર આઈડી બનાવી પોલીસને હંફાવતા હતા. જેલમાંથી છૂટીને ફરી આ ધંધામાં લાગી ગયેલો રીઢો ગુનેગાર પ્રતીક વસાવા આ સમગ્ર લોકલ ઓપરેશનનું હેન્ડલિંગ કરતો હતો, જે અગાઉ પણ સાયબર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. હાલ સુરત પોલીસે આ કેસમાં દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં ગણેશ ઉર્ફે પ્રેમ, રાજ શ્રીવાસ્તવ અને સલીમ આર.ટી.ઓ. જેવા નામો મુખ્ય છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ કૌભાંડમાં સ્થાનિક સ્તરે બીજા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને તેમને કોણ રક્ષણ પૂરું પાડી રહ્યું હતું. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:10 pm

સુભાષબ્રિજને તોડીને નવો બનાવવા AMC અધિકારીઓનો મત:રીપેરીંગ થઈ શકે જોકે લાંબુ આયુષ્ય નહીં, સોમવાર સુધીમાં અંતિમ નિર્ણય થઈ શકે છે

રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજ પર તિરાડ પડવા અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ બ્રિજ નિષ્ણાંત એજન્સીઓ પાસે કરાવેલા ટેસ્ટના રિપોર્ટ થઈ ચૂક્યા છે. રિપોર્ટમાં ત્રણ અલગ અલગ વિકલ્પના આધારે સંપૂર્ણપણે બ્રિજ તોડી પાડવો જોઈએ તેનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને તેના ઉપર નિર્ણય લેવાયો હતો. જોકે હવે આ મામલે રાજ્ય સરકાર પર નિર્ણય છોડવામાં આવ્યો છે. બ્રિજના તમામ પિલ્લર મજબૂત છે જેથી બ્રિજના સંપૂર્ણ સુપર સ્ટ્રક્ચરને તોડી નવા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી છે. જોકે મુખ્યમંત્રી તમામ વિકલ્પ બાબતે ચર્ચા કરીને બ્રિજને રીપેરીંગ કરવો કે નવો બનાવવો તે અંગેનો નિર્ણય કરી શકે છે. સુભાષબ્રિજ બંધ ક્યાં સુધી રહેશે?આજે 25 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજને બંધ રાખવાનો નિર્ણચ લેવાયો હતો. જોકે સુભાષબ્રિજના ટેસ્ટ રિપોર્ટ બાદ રાજ્ય સરકાર નિર્ણય લેવામાં આવનાર છે જેથી સુભાષબ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દ્વારા આગામી 2 કે 3 દિવસમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે બે ત્રણ દિવસ બાદ સુભાષબ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તેની સ્પષ્ટતા થઈ શકે છે. 24 ડિસેમ્બરે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બ્રિજ ઇન્સ્પેક્શન નિષ્ણાંત એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગઈકાલે 24 ડિસેમ્બરના રોજ સુભાષ બ્રિજના રિપોર્ટ સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા બ્રિજને સંપૂર્ણ તોડીને નવો કરવો અથવા રીપેરીંગ કરવો તેના માટે થઈને ચર્ચા કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓનો બ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાનો મતસૂત્રો મુજબ ઇજનેર વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાનો મત આપી રહ્યા છે કારણકે આગામી દિવસોમાં રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે અને સુભાષબ્રિજ શહેરના પ્રવેશ દ્વાર ગણાય છે ત્યારે બ્રિજ મામલે કોઈપણ પ્રકારનું જોખમ અધિકારીઓ લેવા માંગતા નથી. જો નવો બ્રિજ બને તો આગામી 75 વર્ષ સુધી ટકી શકે છે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા પણ બ્રિજને રીપેર કરવો કે તેને સંપૂર્ણપણે તોડી પાડવો તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. સંપૂર્ણ બાબત હવે રાજ્ય સરકાર ઉપર છોડી દેવામાં આવી છે. જો બ્રિજને રીપેરીંગ પણ કરવામાં આવે તો આ બ્રિજ પર માત્ર ટુ-વ્હીલર અને ફોરવ્હીલર વાહનો ચલાવી શકાય. રાજ્ય સરકાર આગામી સોમવાર સુધીમાં જાહેરાત કરી શકે છેભારે વાહનોની એન્ટ્રી બંધ કરવી પડે જો નવો બ્રિજ બનાવવામાં આવે તો બ્રિજ આગામી 75 વર્ષ સુધી ટકી શકે છે. પરંતુ જો રીપેરીંગ થાય તો બ્રિજનું આયુષ્ય વધારે લાંબુ થઈ શકે નહીં, જેથી અધિકારીઓ બ્રિજને તોડી નવો અને પહોળો બનાવવાના મતમાં છે. જોકે હવે બ્રિજ મામલે રાજ્ય સરકાર તરફથી આગામી સોમવાર સુધીમાં જાહેરાત થઈ શકે છે. IITના રિપોર્ટમાં બ્રિજ નવો બનાવવાની વિચારણા કરાઈ4 ડિસેમ્બરના રોજ સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયા બાદ બ્રિજને તાત્કાલિક ધોરણે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તાધીશોએ બ્રિજ ઇન્સ્પેક્શનની એમ પેનલ એજન્સીઓ અને IIT રૂડકી અને IIT મુંબઈ જેવી નિષ્ણાંત સંસ્થાઓ પાસે રિપોર્ટ કરાવ્યા છે. જેમાં અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં એક વિકલ્પ તરીકે બ્રિજના સંપૂર્ણ સુપર સ્ટ્રક્ચરને તોડીને બ્રિજને નવો બનાવવો, જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તેને દૂર કરવો અને બ્રિજ અને મજબૂત કરવો જોકે સૌથી વ્યસ્ત અને પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા આ બ્રિજ પર ભવિષ્યને ધ્યાનમાં રાખી નવો બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:09 pm

કારીગર જ નીકળ્યો ચોર:દોઢ મહિનાથી નોકરીમાં લાગેલા કારીગરે જ કારખાનામાંથી 10 મિનિટમાં રૂ.17.60 લાખની ચાંદી ચોરી વાડીમાં ડાટી દીધી હતી

રાજકોટ શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી આપવાનું કામ કરતા મુળ મહારાષ્ટ્રના દંપતિને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ રાખેલા વેલનાથપરાના કારીગરે 10 મિનીટમાં જ રૂ. 17.60 લાખની 16 કિલો ચાંદીની ચોરી કરનાર શખ્સને ઝોન-1 એલસીબીની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી પાસેથી કુલ 15.97 લાખનો મુદામાલ કબ્જે કરાયો રાજકોટના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક નજીક શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાહુલ ધોંડીરામ સાવંત (ઉ.વ.32) 12 વર્ષથી રાજકોટમાં ચાંદીકામનો વ્યવસાય કરે છે. રાહુલ અલગ-અલગ ચાંદીની પેઢીઓ પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી આપે છે. લાતી પ્લોટ શેરી નં.11માં આવેલા દિલીપ હરિભાઈ કાછડીયાના આઈ શ્રી ખોડિયાર સિલ્વર નામની પેઢીમાંથી ત્રણ દિવસ પહેલાં 16,802 ગ્રામ કાચુ ચાંદી નાના બાળકોના કડા અને કાસ્ટીંગ લોક બનાવવા માટે લાવ્યો હતો. જે ચાંદી તેને ત્યાં દોઢ મહિના પહેલાં નોકરીએ લાગેલો વેલનાથપરાનો વિજય નટુભાઈ નાગાણી ચોરી ગયો હતો. આ મામલે ઝોન-1 એલસીબીના પીએસઆઈ એમ.કે. મોવલીયા અને તેમની ટીમે ભેદ ઉકેલી વિજય નટુ નાગાણીને ઝડપી લઈ રૂ.15.47 લાખનું 15 કિલો ચાંદી અને જીજે.03.એનએમ.1442 નંબરનું બાઈક સહીત રૂ.15.97 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પુછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે, બનાવના દિવસે રાહુલ સાવંત દિલીપ કાછડીયા ચાંદીના દાગીના આપવા ગયો અને તે દરમિયાન પુત્ર રડતો હોવાથી તેની પત્ની પુત્રને તેડીને બહાર નીકળી હતી. આ સમયે માત્ર 10 મિનીટમાં જ વિજયે ચોરી ને અંજામ આપ્યો હતો અને ત્રીજા માળે આવેલ કારખાનાના રૂમમાંથી ચાંદીનું પોટલું બાજુમાં આવેલ પ્લોટમાં ફેકી દીધું અને ફટાફટ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. 17.60 લાખની કિંમતના 16,107 ગ્રામની ચાંદીની ચોરી બાઈક ઉપર વિજય ચોટીલા ગયો અને તેની વાડીએ ચાંદી જમીનમાં દાટી દીધું હતું અને ગ્રાહકની શોધમાં હતો ત્યારે આજે પાંચ કિલો ચાંદી ઓગાળી રાજકોટ વેચવા આવ્યો ત્યારે એલસીબી ઝોન-1ના હાથે પકડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલ વિજય આગાઉ પણ 1 કિલો સોનાની ચોરીમાં માલવિયાનગર પોલીસના હાથે પકડાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:04 pm

વન મંત્રી સક્કરબાગ ઝૂ ની મુલાકાતે:વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ દેશના બીજા સૌથી જૂના 'સક્કરબાગ ઝૂ'ની મુલાકાત લીધી; પ્રાણીઓના સ્વાસ્થ્ય અને પ્રવાસી સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે કરી ખાસ ચર્ચા

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે જૂનાગઢ સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એશિયાટિક સિંહ સહિતના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ, તેમના સ્વાસ્થ્યની કાળજી તેમજ પ્રવાસીઓ માટેની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ​મુલાકાત બાદ વન મંત્રીએ જણાવ્યું હતું કે સક્કરબાગ વન્યપ્રાણી સંગ્રહાલય માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું ગૌરવ છે. આ પ્રાણી સંગ્રહાલયના સર્વાંગી વિકાસ અને તેમાં જરૂરી અત્યાધુનિક સુધારા-વધારા કરવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરવામાં આવી છે. સરકાર આ વારસાને વધુ સમૃદ્ધ બનાવવા માટે કટિબદ્ધ છે.. ​વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ મેળવે છે જ્ઞાન ​સક્કરબાગના મહત્વ વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે, આ સમૃદ્ધ વન્યપ્રાણી સંગ્રહાલયની વર્ષે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને પર્યટકો મુલાકાત લે છે. વાઇલ્ડ લાઇફ અને જીવ સૃષ્ટિની જાણકારી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એક જીવંત પાઠશાળા સમાન છે. વન્ય સૃષ્ટિ આપણને સહ-અસ્તિત્વની એટલે કે એકબીજાના પૂરક બનીને રહેવાની શીખ આપે છે. ​મંત્રીએ સમગ્ર પ્રાણી સંગ્રહાલયની સાથે સાથે જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી. તેમણે પ્રાણીઓ-પક્ષીઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા અને સુરક્ષાની સ્થિતિ તપાસી હતી. વન વિભાગના અધિકારીઓ પાસેથી વિવિધ વન્યપ્રાણીઓની વિશેષતાઓ જાણી હતી અને તેમના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. ​આ મુલાકાત દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી અને એસીએફ નીરવ મકવાણા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. અધિકારીઓએ મંત્રીને સક્કરબાગના આગામી આયોજનો વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:58 pm

ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ યોજાઈ:વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ગુજરાત ઓફિસનું ઉદઘાટન, આખા રાજ્યના વેપાર અને સંચાલનનું કેન્દ્ર બનશે

ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ (ICTC) દ્વારા આજે વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કોમનવેલ્થ દેશો વચ્ચે વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકારને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ બેઠકનો મુખ્ય આકર્ષણ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ - ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન હતું. આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વેપાર સંવાદમાં પ્રદેશ સ્તરે ભાગીદારી વધારવો અને કોમનવેલ્થ દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત ICTC – ગુજરાતના માનદ અધ્યક્ષ વિરલ ચૌધરીના સ્વાગત ભાષણથી કરવામાં આવી હતી. તેમણે કાઉન્સિલના દ્રષ્ટિકોણ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાઉન્સિલ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા, સીમા પારના વ્યાવસાયિક સહયોગને સક્રિય કરવા તથા કોમનવેલ્થ બજારોમાં એમએસએમઇ (MSME) ક્ષેત્રના વિકાસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વૈશ્વિક વેપાર અને ઉદ્યોગસાહસિકતા માટે ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઇ કમિશનર મૂખેશ્વર ચૂની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના મુખ્ય ભાષણમાં ભારત અને મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક, કૂટનીતિક અને આર્થિક સંબંધોની વિશેષ ચર્ચા કરી. સાથે જ વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકાર ક્ષેત્રે ઊભરતી નવી તકો પર પ્રકાશ પાડી, કોમનવેલ્થ માળખામાં મોરિશિયસ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર હોવાની પુષ્ટિ કરી હતી. ભારત અને મોરિશિયસ વચ્ચે એમએસએમઇ સહકાર પર યોજાયેલા વિશેષ સત્રમાં મોરિશિયસ બિઝનેસ એન્ટ્રપ્રેન્યોર્સ એસોસિએશનના સચિવ શ્રી સંજીવ મુલ્લૂએ સંબોધન કર્યું. તેમણે ઉદ્યોગસાહસિકતા આધારિત વિકાસ, ક્ષેત્રવાર સહયોગ તથા બંને દેશોના ઉદ્યોગો વચ્ચે ટકાઉ વ્યાવસાયિક ભાગીદારીની શક્યતાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે IETOના પ્રમુખ ડૉ. આસિફ ઇકબાલે સમાપન ભાષણ આપ્યું હતું. તેમણે કોમનવેલ્થ નેટવર્કમાં સતત સંવાદ, સંસ્થાગત સહકાર અને સર્વસમાવેશક આર્થિક વિકાસની મહત્વતા પર ભાર મૂક્યો હતો.ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025માં ગુજરાતભરના વ્યાવસાયિક સમુદાયના સભ્યો ઉપરાંત ભારત, મોરિશિયસ અને અન્ય આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક સમુદાયોના પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક ઉદ્યોગ નેતાઓ, ઉદ્યોગસાહસિકો અને સંસ્થાગત પ્રતિનિધિઓ માટે અર્થપૂર્ણ સંવાદ અને કોમનવેલ્થ ઇકોસિસ્ટમ હેઠળ દીર્ઘકાલીન આર્થિક સહકારની તકો શોધવા માટે એક સશક્ત મંચરૂપ સાબિત થશે. મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઇ કમિશનર મૂખેશ્વર ચૂનીએ જણાવ્યું હતું કે, આજે જે MOU સાઈન થયા છે તે વડોદરા માટે ખૂબ જ મોટી ઘટના છે. કારણ કે, 2030માં 'કોમનવેલ્થ ગેમ્સ' અમદાવામાં યોજાવાની છે. તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવી પડશે, જો અત્યારે શરૂ નહીં કરીએ તો મોડું થઈ જશે. આ MOU દ્વારા અમે સમગ્ર વિશ્વને એ સંદેશ આપવા માંગીએ છીએ કે ભારત અને ખાસ કરીને વડોદરા તમામ રમતવીરોનું સ્વાગત કરવા તૈયાર છે. આ સાથે જ વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે પણ આ એક મોટી તક છે. 56 દેશોના પ્રતિનિધિઓ અહીં એકઠા થશે અને ભારત નેતૃત્વ લેશે. આનાથી માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ વેપાર અને રોકાણના ક્ષેત્રમાં પણ આદાન-પ્રદાન વધશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ભારતના વડાપ્રધાનના માધ્યમથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા અને સન્માન ખૂબ જ વધ્યા છે. આખું વિશ્વ ભારતને આદરની નજરે જુએ છે કારણ કે મોદી સાચા રસ્તે અને સાચી દિશામાં કામ કરી રહ્યા છે.જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે, જેથી ભારતની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે. ભારત માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરશે. ભારત ચોક્કસપણે આગળ વધશે. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલના ચેરમેન વિરાજ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ગુજરાત ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જે હવે આખા રાજ્યના વેપાર અને સંચાલનનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કાઉન્સિલના ગુજરાત ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થમાં સમાવિષ્ટ 56 દેશો સાથે ભારતના વેપાર સંબંધો મજબૂત કરવા માટે આ એક મહત્વનું પગલું છે. ખાસ કરીને 2030માં જ્યારે અમદાવાદ અને ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ ઓફિસ તે દેશો સાથે બિઝનેસ અને ટ્રેડ નેટવર્કિંગ વધારવામાં પાયાની ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ આયોજન માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે 56 દેશો સાથે દ્વિપક્ષીય વેપાર, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ભારતની જ્ઞાન પરંપરાને વિશ્વ સ્તરે સ્થાપિત કરવાની એક મોટી તક છે. આનાથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો આવશે અને સ્થાનિક વ્યવસાયો માટે નવી તકો ઉભી થશે. આગામી પાંચ વર્ષોમાં વિવિધ દેશોના ડેલિગેટ્સ અને મંત્રીઓની મુલાકાતો વધશે, જેનો સીધો લાભ ગુજરાતના અર્થતંત્રને મળશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:57 pm

નવા વર્ષની ઉજવણી પૂર્વે કરોડોના દારૂની હેરાફેરીનો પર્દાફાશ:મધ્યપ્રદેશથી ચોખાના થેલાઓમાં છુપાવી દોઢ કરોડનો દારૂ ગોધરા પહોંચે તે પહેલા કતવારા હાઇવે પરથી દાહોદ LCBએ ઝડપ્યો

દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કતવારા ગામે ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પરથી રૂ. 1.81 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે વાહન ચેકિંગ દરમિયાન બંધ બોડી ટ્રેલરને અટકાવ્યું હતું. આ ટ્રેલરમાં ચોખાના થેલાઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રેલરની તલાશી લેતા તેમાંથી કુલ 1,039 પેટીઓમાં ભરેલી 25,056 બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત રૂ. 1,60,40,400 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રેલર, બે મોબાઈલ ફોન અને 170 ચોખાના થેલા સહિત કુલ રૂ. 1,81,35,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રેલર ચાલક તાજારામ જાટ (ઉંમર 32, રહેવાસી બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ગેરકાયદેસર રીતે ગોધરા તરફ પહોંચાડવાનો હતો. સમગ્ર મામલે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ પકડાવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાઇવે મારફતે થતી ગેરકાયદેસર હેરાફેરીને અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને તહેવારો અને વર્ષાંત દરમિયાન દારૂના ગેરકાયદેસર પરિવહન પર પોલીસ તંત્રની વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:51 pm

CMના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચિંગ:2030 સુધીમાં 100 GWથી વધુ ક્ષમતાનો લક્ષ્યાંક, સુશાસન દિવસ પર ગુજરાતનું ગ્રીન વિઝન

સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત સરકાર તરફથી રાજ્યની ઊર્જા નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 લોન્ચ કરાઈ છે. આ નવી નીતિ હેઠળ ગુજરાતે 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહનનવી પોલિસી મુજબ રાજ્યમાં સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે, સાથે જ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રીડ સ્થિરતા જળવાઈ રહે અને વીજ પુરવઠો સતત મળી રહે તે માટે સંગ્રહ ક્ષમતાવાળા પ્રોજેક્ટ્સને સીધો ટેકો આપવામાં આવશે. આ વ્યવસ્થા માટે જરૂરી સ્થળો GEDA દ્વારા GETCO અને ડિસ્કોમ્સ સાથે સંકલન કરીને નક્કી કરવામાં આવશે. થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમયમર્યાદામાં છૂટછાટરિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં લાંબી પ્રક્રિયા અને વિલંબ અંગે ઉદ્યોગ જગતમાં રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, નવી નીતિમાં કૅપ્ટિવ અને થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ માટે કમિશનિંગ સમયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન અને ઇવેક્યુએશન લાઈન સંબંધિત નિયમોમાં કરાયેલા ફેરફારોથી પ્રોજેક્ટ્સ ઝડપથી અમલમાં મૂકવામાં મદદ મળશે. ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત અને કનેક્ટિવિટી માટે પ્રાથમિકતા મળશેવિન્ડ એનર્જી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. હાલના પવનચક્કીઓને હટાવ્યા વિના રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ કરવાની મંજૂરી આપીને સમયમર્યાદા 24 મહિના સુધી વધારવામાં આવી છે. આ ઉપરાંત, રીપાવરિંગ દરમિયાન ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત અને કનેક્ટિવિટી માટે પ્રાથમિકતા મળશે, જેથી જૂના પ્રોજેક્ટ્સ વધુ કાર્યક્ષમ બની શકે. ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ, રોજગારી અને ટેકનોલોજીકલ નવીનતાને વેગ મળશેનવી પોલિસી હેઠળ ઓશન એનર્જી, જિયોથર્મલ એનર્જી, એગ્રીવોલ્ટેઇક્સ, બિલ્ડિંગ અને રોડ-ઇન્ટિગ્રેટેડ સોલાર જેવી નવી અને આધુનિક ટેકનોલોજીઓને પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા આગળ ધપાવવામાં આવશે. સરકારના આ પગલાથી રાજ્યમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ, રોજગારી અને ટેકનોલોજીકલ નવીનતાને વેગ મળશે. સરકારનું માનવું છે કે રિન્યુએબલ એનર્જી પોલિસી–2025થી ગુજરાત માત્ર ઊર્જા ઉત્પાદનમાં નહીં પરંતુ ક્લીન એનર્જી હબ તરીકે પણ દેશભરમાં આગવી ઓળખ બનાવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:37 pm

સુરત એરપોર્ટ પર હાર્દિક-મહિકાની સ્ટાઈલિશ એન્ટ્રી, VIDEO:હાથમાં હાથ નાખી જતા જોવા મળ્યા લવબર્ડ્ઝ, NRI પરિવારના સગાઈના કાર્યક્રમમાં ખાસ મહેમાનગતિ લેવા પધાર્યા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે મેદાન પરના પર્ફોર્મન્સ માટે નહીં પણ તેની પર્સનલ વિઝિટને કારણે. હાર્દિક પંડ્યા હાલમાં ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. સુરત એરપોર્ટ પર જ્યારે હાર્દિક તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ અને જાણીતી મોડેલ મહિકા શર્મા સાથે ઉતર્યો ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. એરપોર્ટની બહાર નીકળતી વખતે હાથમાં હાથ નાખતા જોવા મળ્યાબંનેએ જે રીતે એરપોર્ટ પર એન્ટ્રી કરી, તે જોઈને સોશિયલ મીડિયા પર તેમને 'પાવર કપલ' તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યા સુરતમાં એક પ્રતિષ્ઠિત NRI પરિવારના સગાઈના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવા આવ્યો છે. મથુરાના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા ગોંડલીયા પરિવારના ઘરે આ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે હાર્દિક અને મહિકા ખાસ મુંબઈથી સુરત પહોંચ્યા છે. એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે હાર્દિક અને મહિકા એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા, જેની તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. લોકોમાં હાર્દિક સાથે એક સેલ્ફી પડાવવા માટે ભારે ક્રેઝ જોવા મળ્યોહાર્દિક પંડ્યાની સુરત મુલાકાતના સમાચાર વાયુવેગે ફેલાતા જ તેના ફેન્સ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. લોકોમાં હાર્દિક સાથે એક સેલ્ફી પડાવવા માટે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. જોકે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાર્દિક અને મહિકા એરપોર્ટથી સીધા જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા પછી હાર્દિક અને મહિકા શર્માના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી, અને હવે જાહેરમાં સાથે દેખાતા આ વાત પર મહોર વાગી રહી હોય તેમ લાગે છે. હાર્દિકના કૂલ લુક અને મહિકાની સ્ટાઈલિશ એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યુંઆ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને કારણે સુરતના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે. ગોંડલીયા પરિવારના આ પ્રસંગમાં અન્ય પણ કેટલીક જાણીતી હસ્તીઓ હાજર રહે એવી શક્યતા છે, પરંતુ અત્યારે તમામની નજર હાર્દિક અને મહિકા પર ટકેલી છે. સુરત એરપોર્ટ પર હાર્દિકનો કૂલ લુક અને મહિકાની સ્ટાઈલિશ એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આગામી દિવસોમાં આ મુલાકાતની વધુ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવશે તે નક્કી છે. હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઇવ, બાજુમા બેઠેલી માહિકાએ જ વીડિયો ઉતારી ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કર્યો, ITC નર્મદામાં ટીમનું શાનદાર સેલિબ્રેશન; VIDEO19 ડિસેમ્બરને શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવી 5 મેચની T-20 સિરીઝ 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત 8મી સિરીઝ જીતી છે. આ જીત બાદ ભારતીય ટીમ જ્યારે આઈટીસી નર્મદા હોટલ પરત ફરી ત્યારે ટીમની જીત માટે હોટલના શેફ દ્વારા ખાસ પ્રકારની કેક તૈયાર કરવામાં આવી હતી. અહીં તમામ ક્રિકેટરોએ કેક કાપી જીતની શાનદાર ઉજવણી કરી હતી. હોટલના સેલિબ્રેશનમાં રાજીવ શુકલા પણ હાજર રહ્યા હતા. રાતે સેલિબ્રેશન બાદ હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઇવ પર...વાંચો સંપૂર્ણ સમાચાર.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:36 pm

'સાંસદ ખેલ મહોત્સવ' ફિનાલે::​સાંસદ ખેલ મહોત્સવમાં મંત્રી માંડવીયાએ ગદા સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો; 1800 ખેલાડીઓ વચ્ચે જામશે જંગ, PM મોદીએ આપ્યું વર્ચ્યુઅલ સંબોધન

​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ખેલો ઈન્ડિયા' અને ભારતને રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના સંકલ્પને વેગ આપવા માટે જૂનાગઢના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે 'પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-2025' ના ફિનાલેનો ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય શ્રમ-રોજગાર અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ શક્તિના પ્રતીક સમાન 'ગદા' લહેરાવીને આ રમત કુંભને ખુલ્લો મુક્યો હતો. આ તકે ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને અનેક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ​40 હજાર નોંધણી અને 82 વર્ષના વૃદ્ધનો ઉત્સાહ​આ ખેલ મહોત્સવની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પોરબંદર લોકસભા હેઠળ આવતી સાતેય વિધાનસભા (કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ગોંડલ અને જેતપુર) માંથી અંદાજે 30,000 થી 40,000 જેટલા રમતવીરોએ નોંધણી કરાવી હતી. પ્રાથમિક તબક્કાની સ્પર્ધાઓ બાદ હવે ફિનાલેના જંગમાં 1800 જેટલા ફિનાલિસ્ટ ખેલાડીઓ પસંદ થયા છે. આ મહોત્સવમાં વયની કોઈ મર્યાદા આડે આવી નથી; અહીં 12 વર્ષના બાળકોથી લઈને 82 વર્ષના વૃદ્ધો પણ રમતગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. કબડ્ડી, ખો-ખો, કુસ્તી, રસ્સાખેંચ, એથ્લેટિક્સ અને યોગા જેવી પરંપરાગત અને આધુનિક રમતોમાં રમતવીરો જોર અજમાવી રહ્યા છે. ​ખેલ એ જીવનશૈલી છે: મનસુખ માંડવીયા ​ખેલાડીઓને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, PM મોદીની પ્રેરણાથી દેશના 290 થી વધુ સાંસદોએ આ પ્રકારના આયોજન કર્યા છે, જેમાં સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ યુવાનો જોડાયા છે. પોરબંદર લોકસભામાં જ 38,000 થી વધુ યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે ગૌરવની વાત છે. સ્પોર્ટ્સમાં કોઈ હારતું નથી, કાં તો જીતે છે અથવા તો શીખે છે. રમત એ માત્ર સ્પર્ધા નથી પણ એક જીવનશૈલી અને સંસ્કૃતિ છે.​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત 2036 માં ઓલિમ્પિકનું આયોજન કરવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે અને આવા સ્થાનિક સ્તરના મહોત્સવ જ ભવિષ્યના ચેમ્પિયન તૈયાર કરશે. ​2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકનું લક્ષ્ય ​આ પ્રસંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ભારતમાં રમતગમત પ્રત્યેનો અભિગમ બદલાયો છે. 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, જે 2036 ના ઓલિમ્પિક માટે પાયો તૈયાર કરશે. વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવે. મેડાલિસ્ટોનું સન્માન અને મણિયારા રાસની જમાવટ ​કાર્યક્રમના પ્રારંભમાં ખેલાડીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરી હતી. રમતવીરોમાં જોમ ભરવા માટે મણિયારા રાસની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડાલિસ્ટ પ્રિયંકાબેન ગોસ્વામીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને જીતના મંત્રો આપ્યા હતા. ઈન્ટર યુનિવર્સિટી યોગા સ્પર્ધાના ગોલ્ડ મેડાલિસ્ટ વાજા શાહનવાજનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ​PM મોદીએ સ્પર્ધકોને વર્ચ્યુઅલી પ્રોત્સાહિત કર્યા​આ મહોત્સવના સમાપન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે રમતવીરો અને આયોજક સાંસદોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ યુવા શક્તિને સંગઠિત કરવાનું એક મોટું માધ્યમ બન્યું છે.આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, મહેન્દ્ર પાડલીયા સહિતના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:35 pm

નખત્રાણા પોલીસ ટ્રાફિક સમસ્યા નિવારવા એક્શન મોડમાં:બેરૂનાકાથી વથાણચોક સુધી પાર્કિંગ નિયમો કડક બનાવાયા

નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક બી.બી. ભગોરાની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણાના બેરૂનાકાથી વથાણચોક સુધીના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પગલાં લેવાઈ રહ્યા છે. આ અંતર્ગત, નખત્રાણા ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકોને તેમની રિક્ષાઓ લાઈનમાં રાખવા અને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, પાન ગલ્લાના માલિકોને પણ તેમના ગલ્લા પાસે આડેધડ વાહનો પાર્ક ન થાય તેની તકેદારી રાખવા સમજાવવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નખત્રાણાના સન રાઈઝ કોમ્પ્લેક્સ સામે, પ્રિન્સ મોબાઈલ સામે અને આંબેડકર ચોક સામે 'નો પાર્કિંગ'ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ જાહેર જગ્યાએ આડેધડ વાહનો પાર્ક ન કરે. જો વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરેલું નહીં હોય, તો તેને લોક લગાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા જણાવાયું છે. વધુમાં, જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:35 pm

'HIV ગ્રસ્ત મહિલા કર્મચારીનું હેલ્થ મુદ્દે પ્રમોશન રોકી શકાય નહીં':હાઇકોર્ટની CRPF અને યુનિયન ઓફ ઈન્ડિયાને શો કોઝ નોટિસ

ગુજરાત હાઇકોર્ટમાં એક મહિલા અરજદારે એડવોકેટ સ્વપ્નેશ્વર ગૌતમ મારફતે અરજી દાખલ કરી હતી. જેમાં તેને CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મિનિસ્ટ્રીઅલ પોસ્ટના પ્રમોશનના વર્ષ 2011ના નિયમોને ચેલેન્જ કર્યા હતાં. તેને જણાવ્યું હતું કે, તે પોતે HIV AIDS ગ્રસીત હોવાથી તેને પ્રમોશન અપાઇ રહ્યું નથી. કારણમાં એવું જણાવાઈ રહ્યું છે કે તે આ નિયમો અંતર્ગત શેપ 01 કેટેગરીમાં આવતા નથી અને મેડિકલ બોર્ડના અભિપ્રાય મુજબ તેઓ ઉચ્ચ કક્ષાની બીમારીથી પીડિત છે. મહિલા અરજદાર સાથે ભેદભાવ અને પ્રમોશનથી વંચિત રખાઈહાઇકોર્ટે ગત ઓગસ્ટ મહિનામાં અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને તેના અને અન્ય આવા અનેક લોકોના હિતમાં ચુકાદો આપતા નોંધ્યું હતું કે અરજદાર સાથે ભેદભાવ થયો છે અને તેને પ્રમોશનથી વંચિત રાખવામાં આવેલ છે. તેના જુનિયર્સને પ્રમોશન અપાયું પણ તેને અપાયું નથી. જેથી હાઇકોર્ટે સંલગ્ન ઓથોરિટીને અરજદારને પ્રમોશન આપવા નિર્દેશ આપે છે. ઉપરાંત જ્યારથી તેણે પ્રમોશન મળવું જોઈતું હતું, ત્યારથી બધા જ લાભ તેને આપવા પડશે. તેને એરિયર્સ ચૂકવવા પડશે. આ તમામ પ્રક્રિયા 02 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. જો તેમ ન થાય તો અરજદાર આ કોર્ટની સહાયતા લઈ શકશે. આવા નિયમો બંધારણીય હક્કોનો ભંગ કરે છે. આવો ભેદભાવ દૂર થવો જોઈએ. જુનિયર્સની સમકક્ષ 2016માં પ્રમોશન મળવું જોઈતું હતુંજો કે અરજદારે ફરી હાઇકોર્ટના શરણે આવવું પડ્યું હતું કારણ કે હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ લખ્યું હતું કે અરજદારના જુનિયર્સને જ્યારથી પ્રમોશન અપાયું હોય તે તારીખથી તેને પણ પ્રમોશન આપવામાં આવે. આમ છત્તા અરજદારને ઓથોરિટીએ વર્ષ 2019થી પ્રમોશન આપવાની તૈયારી બતાવી હતી. કારણ કે તેનો છેલ્લો હેલ્થ રીપોર્ટ 2018માં નીકળ્યો હતો. પરંતુ તેને તેના જુનિયર્સની સમકક્ષ 2016માં પ્રમોશન મળવું જોઈતું હતું અને તેના બધા લાભ પણ મળવા જોતા હતા. કારણ કે 2015માં પણ મેડિકલ રિપોર્ટ નીકળ્યો હતો અને તેની સાથે અન્યાય થતાં તેને પ્રમોશન મળ્યું નહોતું. હાઇકોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા અને CRPFને શો કોઝ નોટિસ પાઠવીહાઇકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેના ઓર્ડરમાં સ્પષ્ટતા હતી કે અરજદારના જુનિયરને પ્રમોશન આપવામાં આવ્યું હોય ત્યારથી જ અરજદારને પ્રમોશન સહિતના લાભ અપાય. ઉપરોક્ત અરજી સંદર્ભે યુનિયન ઓફ ઇન્ડિયા વતી ઉપસ્થિત થયેલા વકીલે તેનો જવાબ આપવા 02 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા અને CRPFને શો કોઝ નોટિસ પાઠવી હતી અને પ્રશ્ન પણ કર્યો હતો કે શા માટે તેઓએ જાણી જોઈને કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું નથી ? આ અંગે વધુ સુનાવણી 20 જાન્યુઆરીના રોજ યોજાશે. ત્યાં સુધી CRPF પોતાના વલણમાં સુધારાત્મક પગલાં લઈ શકે છે. 'હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં'અગાઉ મૂળ અરજી ઉપરની સુનવણીમાં અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં. જો સરકાર એવું સાબિત કરે કે અરજદારના હેલ્થના કારણે તેને સોંપાયેલ કામ તે કરી શકશે નહીં, તો જ તેઓ દલીલ કરી શકે છે. પરંતુ અરજદારનું પ્રમોશન જે પોસ્ટ પર થવું જોઈએ તે મિનિસ્ટરિયલ જોબ છે. પ્રમોશનની આ પ્રમાણેની જોગવાઈઓ સ્પષ્ટ રીતે ભેદભાવ દર્શાવે છે. HIV કે હ્રદય સંબંધિત બીમારીઓ એ બધું બીમારી અંતર્ગત જ આવે છે, આ ફક્ત એક માંદગી છે. જે નિયમો અગાઉ બન્યા હોય તેને અત્યારે ચાલુ રાખવા જરૂરી નથી. 'અરજદારને જે પ્રમોશન લેવાનું છે, તેમાં ફિલ્ડ વર્કની ડ્યુટી નથી'કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે હૃદયના બીમાર કે વધુ પડતી ડાયાબિટીસથી પીડિત વ્યક્તિને કઈ કેટેગરીમાં મુકાશે ? આવી જોગવાઈઓ અને કેટેગરી પાછળ શું લોજીક છે ? અરજદારને જે પ્રમોશન લેવાનું છે, તેમાં ફિલ્ડ વર્કની ડ્યુટી નથી. અમુક લોકોને બાકાત રાખવા જ આવો માપદંડ નક્કી કરાયો હોય તેમ લાગી રહ્યું છે ! આ બંધારણીય મુદ્દો છે. અરજદાર માત્ર HIV ગ્રસિત હોવાથી તેમને પ્રમોશન અપાયું નથી ! આ ભેદભાવનો સીધો જ મુદ્દો છે. અરજદારે ચેલેન્જ કરેલા નિયમો તે HIV એઇડ્સ એક્ટ 2017ના વિરુદ્ધના છે. આ નિયમ બંધારણના આર્ટિકલ 14, 16 અને 21નો ભંગ કરે છે. અરજદારને સતત પ્રમોશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:14 pm

શ્રમજીવી કચરો વીણતો હતો ને ડેડબોડી મળી:આદિવાડા ગામની ઝાડીઓમાં કોહવાયેલો મૃતદેહ જોઈને સફાઈકર્મી ગભરાયો, પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી

ગાંધીનગરના આદિવાડા ગામની ઝાડીમાંથી 40 વર્ષીય શ્રમજીવીની કીડાથી ખદબદતી અને અતિશય દુર્ગંધ મારતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સેક્ટર-21 પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા લાશ ગામના મિસ્ત્રીની હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહનું પેનલથી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. શ્રમજીવીને કચરો વીણતા દરમિયાન દુર્ગંધ આવતા શંકા ગઈપ્રાપ્ત વિગતો મુજબ આજે આદિવાડા ગામની વનરાજીમાં એક શ્રમજીવી કચરો વીણવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ઝાડીઓમાંથી અસહ્ય દુર્ગંધ આવતા તેણે તપાસ કરી હતી. જ્યાં એક અજાણ્યા પુરુષની લાશ કીડાથી ખદબદતી હાલતમાં પડી હતી. આ બિહામણું દૃશ્ય જોઈ શ્રમજીવી ગભરાઈને ભાગ્યો હતો અને તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ સેક્ટર-21 પોલીસ મથકના ASI દશરથભાઈ પરમાર અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાશ એટલી હદે વિકૃત થઈ ગઈ હતી અને તેના પર એટલા કીડા હતા કે ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. માનવતાના ધોરણે પોલીસે પાણીનું ટેન્કર મંગાવી લાશને કીડાઓથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. PM રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશેપોલીસ તપાસમાં મૃતકની ઓળખ વિજયજી ચેહુજી મકવાણા (ઉં.વ. 40, રહે. આદિવાડા) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ વિજયજી મિસ્ત્રી કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની વિજૂજી અને એક પુત્ર રુદ્રાક્ષ છે. વિજયજી દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા.જેના કારણે ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો. આ કંકાસને લીધે તેઓ છેલ્લા એક મહિનાથી ઘરે ગયા નહોતા. પ્રાથમિક તપાસમાં લાશ અંદાજે ચાર દિવસ જૂની હોવાનું જણાયું છે. સેક્ટર-21 પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવવા સિવિલ હોસ્પિટલ ખસેડી છે. વિજયજીનું મોત દારૂના વધુ પડતા સેવનથી થયું છે, કુદરતી છે કે અન્ય કોઈ કારણોસર તે PM રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:07 pm

અસલાલી નારોલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત:ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતા જ કાર પલટી ગઈ, 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત; 4 મિત્રોનો આબાદ બચાવ

અમદાવાદના અસલાલી નારોલ હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લાંબા ટર્નિંગ પહેલાં એર ફીટના ગોડાઉન સામે કારચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકની બાજુમાંથી ઓવરટેક કરવા જતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ કાર બેકાબૂ થતાં સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. પરંતુ આ અકસ્માતમાં 20 વર્ષીય કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય 4 મિત્રોનો આબાદ બચાવ થયો હતો. ટ્રકને ઓવરટેક કરવા જતા કાર પરથી કાબુ ગુમાવ્યોગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ પાંચ મિત્રોને અકસ્માત નડ્યો હતો. પાંચેય મિત્રો GJ27EB4175 નંબરની કારમાં અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યા હતા. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવક હસનેન રફિકભાઈ પટેલ ગાડી ચલાવી રહ્યો હતો. નારોલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે હસનેને એર ફીટના ગોડાઉન સામે એક કન્ટેનર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા જ ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ડીવાઈડર સાથે અથડાઈ પલટી ખાતા ડ્રાઈવરનું મોતકારની સ્પીડ વધારે હોવાથી કાર હસનેનના કંટ્રોલ બહાર જતી રહી હતી. કાર બેકાબૂ થતાં જ સીધી જ હાઈવે પર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડીવાઈડરની રેલીંગ તોડીને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક 20 વર્ષીય હસનેન રફિકભાઈ પટેલને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અન્ય 4 મિત્રોનો ચમત્કારિક બચાવજ્યારે કારમાં સવાર અન્ય 4 મિત્રોનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો. અન્ય ચાર મિત્રોને કોઈપણ ઈજાઓ પહોંચી ન હતી. હસનેનનું મોત થતા દાણીલીમડા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. જો કે અકસ્માત થતા જ મોડી રાત્રે પણ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નથી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:07 pm

'તમારું નામ મની લોન્ડરિંગ કેસમાં ખૂલ્યું છે':મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે નવસારીના ડોક્ટર ડિજિટલ અરેસ્ટ, 50 લાખની માગ; PIએ ઠગબાજોની ચુંગાલમાંથી છોડાવ્યા

નવસારીના 82 વર્ષીય વયોવૃદ્ધ ડૉ. બીપીન ગાંધીને ગત 25 ઓગસ્ટ, 2025ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ અધિકારીના નામે ફોન આવ્યો અને વીડિયો કોલ એટેન્ડ કરવા કહ્યું હતું. વીડિયો કૉલ ઉપાડતાં જ નવસારીના ડોક્ટરને ઠગબાજોએ કહ્યું કે, અમે મુંબઈક ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને તમારૂ નામ મની લોન્ડરિંગ કેસમાં ખુલ્યું છે. ડૉ. બીપીનના ખાતામાં લાખો રૂપિયા જમા થયા હોવાનું જણાવી, તેમને ઘરના બારી બારણા બંધ કરી, ઘરની બહાર ન નીકળવા કહ્યું હતું. તેમજ ડૉ. બીપીનના બેંક એકાઉન્ટની માહિતી આપવા સાથે કેસથી બચવા તેમની પાસેથી 50 લાખ રૂપિયા ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોક્ટરે આ મામલે નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકના PI ઉમંગ મોદીનો સંપર્ક કરતા પોલીસે ઠગબાજોની ચુંગાલમાંથી વૃદ્ધને છોડાવ્યાં હતા. સમગ્ર મુદ્દે લોકોમાં જાગૃતિ આવે અને સાયબર ઠગોના ચુંગાલમાં કોઈ ફસાઈ નહીં, એ હેતુથી ડૉ. બીપીને પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી હતી. ડૉ.બીપીન ગાંધીએ જણાવ્યું કે, 25 ઓગસ્ટના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ, મારા પત્ની પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. શંકા જતાં તેમણે ફોન મને આપ્યો. મેં તે વ્યક્તિ સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેમણે તરત જ વીડિયો કોલ શરૂ કર્યો હતો. અમે બંને સાથે બેઠા હતા ત્યારે તેમણે અમારી પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે અમારી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે અને તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, સામાન્ય રીતે તમારે મુંબઈ આવવું પડે, પરંતુ તમારી ઉંમર જોતા તેઓ વીડિયો કોલ દ્વારા જ આ પૂછપરછ કરશે. 'ઘરની તમામ બારીઓ-દરવાજા બંધ કરી દેવાની સૂચના આપી'વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ તે વ્યક્તિએ અમને ઘરની તમામ બારીઓ અને દરવાજા બંધ કરી દેવાની સૂચના આપી, જેથી કોઈ અમને જોઈ કે સાંભળી ન શકે. તેમણે અમને ચેતવણી આપી કે, આ વાત વિશે કોઈને જાણ કરવી નહીં અને ભારપૂર્વક કહ્યું કે, અમારે સાચા જવાબો જ આપવા પડશે. તેમણે ધમકી આપી કે, જો અમે કોઈ ખોટી માહિતી આપીશું, તો અમારી પર દેશદ્રોહનો ગુનો નોંધાશે અને કડક સજા થશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, અમારા જવાબો આખી પ્રક્રિયા દરમિયાન એકસમાન હોવા જોઈએ, નહીંતર અમારે કાયદાકીય પરિણામો ભોગવવા પડશે. 'સતત ધમકીઓને કારણે અમને શંકા ગઈ'ડૉ.બીપીન ગાંધીએ કહ્યું કે, વીડિયો કોલ દરમિયાન, શરૂઆતમાં મેં એક વ્યક્તિને સાદા કપડામાં જોઈ. ત્યારબાદ, તેમણે અમને બીજો એક રૂમ બતાવ્યો જ્યાં પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિ દેખાયો. આ આખું સેટઅપ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે તે અસલી પોલીસ ઓફિસ જેવું લાગે, જેના કારણે અમને વધુ ચિંતા થઈ અને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર કોઈ કાયદાકીય મામલો છે. જોકે, તેમની સતત ધમકીઓને કારણે અમને શંકા ગઈ કે આ કદાચ કોઈ છેતરપિંડી (સ્કેમ) હોઈ શકે છે. અમે કોલ કાપી નાખવાનું નક્કી કર્યું અને મેં તરત જ મારા મિત્ર ચંદ્રકાંતનો સંપર્ક કર્યો, જેઓ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) છે. 'કોલ કાપી નાખ્યો છતાં, વારંવાર વીડિયો કોલ આવતા રહ્યા'વધુમાં જણાવ્યું કે, ચંદ્રકાંતભાઈએ મને આશ્વાસન આપ્યું અને ચિંતા ન કરવા કહ્યું. તેમણે મને તેમના મિત્ર ઉમંગ મોદીનો સંપર્ક કરવા સૂચવ્યું અને મારા વતી તેમને ફોન કરવાની પણ તૈયારી બતાવી. ત્યારબાદ મેં ઉમંગનો સંપર્ક કર્યો, જેઓ તે સમયે તેમની ઓફિસમાં હતા. હું ઝડપથી તેમને મળવા નીકળ્યો. આ દરમિયાન, મેં કોલ કાપી નાખ્યો હોવા છતાં, પેલા છેતરપિંડી કરનારાઓ તરફથી વારંવાર વીડિયો કોલ આવતા રહ્યા હતા. 'લગભગ બે કલાકની માનસિક હેરાનગતિ પછી આ પરિસ્થિતિનો અંત આવ્યો'ડૉ.બીપીન ગાંધીએ જણાવ્યું કે, હું ઉમંગની ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે પણ મારો ફોન સતત રણકતો રહ્યો, પણ મેં એક પણ કોલ ઉપાડ્યો નહીં. જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે ફરીથી ફોન આવ્યો અને મેં ફોન ઉમંગને આપી દીધો. તેમણે તે લોકો સાથે વાત કરી અને તેમના નામ પૂછ્યા, પરંતુ તેમણે પોતાની ઓળખ આપવાનો ઇનકાર કર્યો. ઉમંગ તરત જ સમજી ગયા કે આ એક ફ્રોડ છે અને તેમણે તેમને કડક અને અધિકૃત અવાજમાં જવાબ આપ્યો. ત્યારબાદ તેમણે કોલ કાપી નાખ્યો, અને લગભગ બે કલાકની માનસિક હેરાનગતિ પછી આ પરિસ્થિતિનો અંત આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે, આ સાયબર ફ્રોડમાંથી બચી જવા બદલ મને ખૂબ જ રાહત થઈ છે અને હું આભારી છું. સમયસર મદદ કરવા અને સાચા સત્તાવાળાઓની મદદ લેવાનું મહત્વ સમજાવવા બદલ હું ઉમંગ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમણે મને તે કોન્ટેક્ટ ડીલીટ કરી દેવાની સલાહ આપી અને હવે બધું બરાબર છે તેમ કહી ચિંતા ન કરવા જણાવ્યું. ત્યારથી મને ફરીથી આવા કોઈ શંકાસ્પદ કોલ આવ્યાં નથી. 'ડિજિટલ અરેસ્ટ થયાનું ધ્યાનમાં આવે તો પોલીસનો સંપર્ક કરજો'સાયબર ક્રાઇમના PI ઉમંગ મોદી જણાવે છે કે, આપણી અડોસ પડોશમાં કે મિત્ર વર્તુળમાં પણ કોઈ ઉમર લાયક વ્યક્તિ જે હળતા મળતા હોય બધા સાથે વાતચીત કરતા હોય અને અમુક દિવસથી અચાનકથી આ રીતે કોઈ સાથે મળવાનું બંધ કરી નાખે વાતચીત કરવાનું બંધ કરી નાખે ઘરમાં એકલા એકલા રહેતા હોય, તો આપ એક જાગૃત નાગરિક તરીકે એમની મુલાકાત લેજો અને જો આવું કોઈ ધ્યાનમાં આવે કે ડિજિટલ અરેસ્ટ કે એવું કંઈક થયું છે તો તુરંત પોલીસનો સંપર્ક કરજો. આપણી જાગૃતતાથી આપણે અડોસ-પડોસના લોકો, આપણા મિત્ર વર્તુળના લોકોને પણ ડિજિટલ અરેસ્ટના સ્કેમથી બચાવી શકીએ છીએ. 'APK ફાઈલથી સૌથી વધારે ફ્રોડ થાય છે'PI ઉમંગ મોદીએ જણાવ્યું કે, અત્યારે એક APKથી સૌથી વધારે ફ્રોડ થતું જોવા મળે છે. જેમાં વોટ્સએપની અંદર કોઈપણ વેડિંગ ઇન્વિટેશન અથવા તો હમણાં જે ઇલેક્શનની કામગીરી ચાલી હતી ત્યારે 2002 Voter list.apk, આવી કોઈપણ નામથી APK ફાઈલ આવતી હોય છે અથવા RTO Chalan.apk આવે છે, તો આવી કોઈપણ APK આવે તો એ ફ્રોડ છે. તમારે વોટ્સએપની અંદર કોઈ અજાણ્યા નંબર ઉપરથી આવો કોઈ મેસેજ આવે છે તો એને પેલા વાંચો અને એમાં કોઈ APK ફાઈલ હોય તો એ ફ્રોડ છે એમ માનીને મેસેજને અને ચેટને જ ડીલીટ કરી દેવી, એની ઉપર ક્લિક કરવું નહીં. વધુમાં જણાવ્યું કે, આવો કોઈપણ APK તમારી અંદર ભૂલથી ઇન્સ્ટોલ થઈ જાય તો તરત મોબાઈલના સિમ કાર્ડ કાઢી નાખવા અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેવો જેથી ફાઇનાન્શિયલ કોઈ ટ્રાન્ઝેકશન થાય નહિં અને તમે આ ફ્રોડથી બચી શકો છો. આની અંદર જો તમારા કોઈ ઓળખીતા વ્યક્તિનો પણ આ રીતે APK ઇન્સ્ટોલ થઈ ગઈ હશે એટલે કે એમનો ફોન હેક થઈ ગયો હોય તો એમના નંબર ઉપરથી પણ તમને આવો મેસેજ આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:04 pm

ઝરીયા ગામે નંદઘરનું લોકાર્પણ કરાયું:મનરેગા યોજના હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ માટે સુવિધા અપાઈ

બોટાદ તાલુકાના ઝરીયા ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અંતર્ગત નવનિર્મિત નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના હસ્તે આ નંદઘરનું ઉદ્ઘાટન થયું હતું. આ નંદઘરનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના નાના બાળકોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. તેના દ્વારા બાળકોને પોષણ, પ્રારંભિક શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી મહત્વપૂર્ણ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. લોકાર્પણ પ્રસંગે નિયામક ડી.આર.ડી.એ. અને તેમનો સ્ટાફ, માર્કેટિંગ યાર્ડ બોટાદના ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર ICDS અને તેમની ટીમ, તાલુકા વિકાસ અધિકારી તેમજ IRD સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, નંદઘરના મહત્વ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વક્તાઓએ મનરેગા યોજના હેઠળ ગ્રામ વિકાસ, બાળ કલ્યાણ અને સામાજિક સુવિધાઓને મજબૂત બનાવવા માટે લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે નંદઘર જેવી સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને સારા આરંભિક સંસ્કાર અને પોષણ મળશે, જે ભવિષ્યના સશક્ત નાગરિકોના નિર્માણમાં મદદરૂપ થશે. ઝરીયા ગામે નંદઘરના લોકાર્પણ સાથે ગ્રામ વિકાસ અને બાળ કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનો સૌએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:53 pm

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિએ સુશાસન દિવસની ઉજવણી:મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ, જામનગરના અધિકારીઓ VCથી જોડાયા

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ અને અટલ સ્વાન્ત: સુખાય યોજનાના વેબપોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ, ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ સરળ અને દરેક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવો છે. તેમણે ઉમેર્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ 'સુશાસન દિવસ' નિમિત્તે ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટ દ્વારા નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'ને પ્રાધાન્ય આપી 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શારદા કાથડ સહિત સંકલન સમિતિના અન્ય સભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:51 pm

આંબાવાડીની H L કોલોની પર હાઉસિંગ બોર્ડ ત્રાટકયું:રહેણાંકના સ્થાને કોમર્શીયલ ઉપયોગ કરતાં 19 મકાનો સીલ કરાયા

ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ગેરકાયદેસર મકાનોનો રાફડો ફાટી નીકળ્યો છે તે જગજાહેર બાબત છે. તેમાંય આ મકાનોનો હેતુફેર કરીને લોકોએ શો રૂમોથી માંડીને હોસ્પિટલો તેમ જ રેસ્ટોરન્ટ વગેરે તાણી દીધું છે. જેના કારણે જ ભારે હોબાળો મચેલો છે. આ અંગે માનવ અધિકાર આયોગ દ્રારા કરાયેલાં આદેશના પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ એચ એન્ડ એલ કોલોનીમાં ગઇકાલે મંગળવારે ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો. અને એકસાથે 19 રહેણાંકમાંથી કોમર્શીયલ બનેલી મિલકતોને સીલ મારી દીધાં હતા. તેમાં ફીઝીયોથેરાપી સહિત પી.જી. તેમ જ શૂઝ વેરહાઉસ ઉપરાંત ફાસ્ટ ફૂડ તેમ જ પાન પાર્લર વગેરનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન જીરો પ્લસ વન માળની ઉપર એક આખો ફલોર ઊભો કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ બે ફલેટો વચ્ચે બ્રીજ બાંધીને ઉપયોગ કરતાં પણ નજરે પડયાં હતા. 30થી વધુ લોકોને 25 જુલાઇના રોજ નોટિસ આપી હતીઅમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલાં એચ.એલ. કોલોનીમાં કેટલાંક લોકોએ રહેણાંક મકાનોનો કોમર્શીયલ ઉપયોગ ચાલુ કરતાં હોવાની રજૂઆત એચ એન્ડ એલ કોલોની રહીશોના એસોસીએશન દ્રારા ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વિવિધ વિભાગોને સમક્ષ કરી હતી. જો કે આ અંગે ગુજરાત માનવ અધિકાર આયોગે સુઓમોટો દાખલ કરીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડે 30થી વધુ લોકોને 25 જુલાઇના રોજ નોટિસ આપી હતી. ત્યારબાદ ફરીવાર 8 નવેમ્બર, 2025ના રોજ નોટીસ આપીને સાત દિવસમાં રહેણાંકનો કોમર્શીયલ ઉપયોગ બંધ કરવા માટે સૂચના આપી હતી. નહીં તો મકાનોને સીલ મારવામાં આવશે તેવી ચીમકી આપી હતી. 19 રહેણાંકમાં કોમર્શીયલ યુઝ ચાલુ હોવાથી તેને સીલ મરાયાઆ હુક્મ બાદ ગઇકાલે 23 ડિસેમ્બરના રોજ સવારે 10-30 વાગ્યે ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્હાગીર વ્યવસ્થાપક એમ.એમ. રોહિતની રાહબરી હેઠળ સ્ટાફનો કાફલો પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આંબાવાડી સ્થિત એચ એન્ડ એલ કોલોનીમાં દરોડા પાડયાં હતા. રાત્રિના 8-30 વાગ્યા સુધી કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન કેટલાંકે ઇમ્પેક્ટ ફી ભરી દીધી હોવાના અથવા તો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાથી કામગીરી કરી શકયા ન હતા. 19 રહેણાંકમાં કોમર્શીયલ યુઝ ચાલુ હોવાથી તેને સીલ મારી દીધાં હતા. હજુ 11 મિલકતો સામેની કાર્યવાહી હવે પછી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થવા પામી છે. 1 માળના ફલેટમાં કોઇએ આખો બીજો ફલોર ઊભો કરી દીધો હતોનવાઇ અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ જોવા મળી હતી કે ગ્રાઉન્ડ પ્લસ 1 માળના ફલેટમાં કોઇએ આખો બીજો ફલોર ઊભો કરી દીધો હતો. ત્યાં સુધી એક વ્યક્તિએ તો આજુબાજુના બ્લોકમાં અવરજવર કરવા માટે વચ્ચે બ્રીજ બનાવી દીધો હતો. આ ઉપરાંત આ કોલોનીમાં બે રૂમ રસોડાં વાળા ફલેટમાં પેઇંગ ગેસ્ટ (પી.જી.) ઊભાં કરવામાં આવ્યા હોવાના જોવા મળ્યાં હતાં. જેમાં એક ફલેટમાં તો 90 જણાં તો બીજામાં 50ની સંખ્યા રહેતી હોવાનું જોવા મળ્યું હતું. તો એક ફલેટની દિવાલો તોડી નાંખીને સ્ટીલની ગર્ડર ફીટ કરીને મ્યુઝીક એકેડેમી ઊભી કરી દેવામાં આવી હતી. જો કે તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાનું હાઉસિંગ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. સીલ મરાયેલાં 19 ફલેટોમાં શું ચાલતું હતું

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:48 pm

હૈદરાબાદના ડિજિટલ એરેસ્ટ કેસનું પગેરું ભાવનગરમાં નીકળ્યું:હૈદરાબાદ પોલીસે બે શખ્સોને ઉઠાવ્યા, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.97 કરોડ પડાવ્યા હતા

ભાવનગરનું નામ હર હંમેશા જીએસટી અને સાઈબર ફ્રોડ માટે મોખરે રહ્યું છે. આંતરરાજ્ય ગુનાનો રેલો ભાવનગ૨ સુધી લંબાતો આવ્યો છે. ત્યારે વધુ એકવાર હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનું પગેરુ ભાવનગરમાં નીકળ્યું છે. હૈદરાબાદ પોલીસે ભાવનગર આવી વડવા વિસ્તારના બે શખસને ઉઠાવી લીધા છે. વિદેશમાંથી કોઈ શખ્સે તમારા નામે ડ્રગ્સનું પાર્સલ આવ્યુ હોવાનું કહી એક વૃદ્ધાને ડિીજિટલ એરેસ્ટ કરી રૂા. 1.97 કરોડ પડાવી લીધા હતા. જે મામલે ગુનો દાખલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા તે એકાઉન્ટના મૂળ ભાવનગરમાં નીકળ્યાબનાવની જાણવા મળતી વિગતો અનુસાર હૈદરાબાદના એક વૃદ્ધાને ગઠીયાએ ફોન કરી તમારે ત્યા ડ્રગ્સનું પાર્સલ આવ્યુ છે. તેમ કહી ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી પતાવટ પેટે રૂા.1.97 કરોડ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મેળવી લઈ ફોડ કર્યુ હતું. જે મામલે વૃદ્ધાએ હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ગત તા.13 ડિસેમ્બરના રોજ ગુનો દાખલ કરાવ્યો હતો. હૈદરાબાદ પોલીસની તપાસ દરમિયાન સાયબર ફ્રોડનું પગેરુ ભાવનગરમાં નીકળ્યુ હતું. માત્ર એટલું જ નહીં વૃદ્ધાએ જે પૈસા ટ્રાન્સફર કર્યા હતા તે એકાઉન્ટના મૂળ ભાવનગરમાં નીકળ્યા હતા .જેના પગલે ગઈકાલે હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારી ભાવનગર દોડી આવ્યા હતા. અને સ્થાનિક પોલીસની મદદ સાથે તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સાંજના ભાવનગર શહેરના વડવા વિસ્તારમા રહેતા અનાસ રહિમભાઈ બેલીમ અને શોએબ સૈયદ નામના બે શખસને ઉઠાવી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન ભાવનગરમાંથી ઝડપાયેલા બન્ને શખસ ગરીબ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા સુરતના બે શખસને ખાતા ઓપરેટ કરવા આપતા હોવાની વિગતો તપાસમાં ખુલી હોવાનું જાણવા મળ્યુ હતું. સાયબર ફ્રોડ મામલે ઝડપાયેલા વડવાના બન્ને શખસને ઉઠાવી લીધા છે.આ કેસમાં અન્યના નામ પણ ખુલવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:41 pm

31st પહેલા જ SG હાઈવે પર SOGના ધાડેધાડા ઉતર્યા:અમદાવાદમાં ભર બપોરે નશેડીઓને પકડવા ડ્રગ્સ એનાલાઇઝર કીટથી લોકોના સેમ્પલ લીધા

અમદાવાદમાં 31st ડિસેમ્બર અગાઉ નશાનું સેવન કરતા શખસોને પકડવા માટે SOG દ્વારા શહેરના SG હાઈવે પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. SOGની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહનચાલકોને તપાસવામાં આવ્યા હતા. જોકે, સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે ભર બપોરે SOG દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ નશો કરનાર મળી આવ્યો નહોતો. SOGની ટીમો દ્વારા ભર બપોરે વાહનચાલકોનું ચેકિંગSOG દ્વારા નવા વર્ષ અગાઉ જ શહેરમાં પાર્ટી કરનાર કે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનાર શખસોને પકડવા માટે એસ.જી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન SOG દ્વારા અનેક મોંઘીદાટ ગાડીઓને રોકીને ડ્રાઈવરનું કીટ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું તરત જ રિઝલ્ટ પણ મળતું હતું. SOGની 3-4 ટીમ દ્વારા ભર બપોરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્લાઇવા કીટથી વાહનચાલકોને ચકાસ્યા પણ કંઈ ન મળ્યુંવાહનચાલકોને રોકીને ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે સ્લાઇવા કીટ દ્વારા મોઢામાં મૂકાવી લાળના સેમ્પલ લઈ મશીનમાં ચેક કરવામાં આવ્યું હતું. મશીનમાં ચેક કરતા જ મિનિટમાં જ રિઝલ્ટ મળી આવતું હતું. જોકે અનેક વાહનચાલકોને ચેક કર્યા પરંતુ કોઈપણ વાહનચાલક નશામાં મળી આવ્યો નહોતો. રાતના સમયે ચેક કરવામાં આવે તો પરિણામ મળી શકતું પરંતુ દિવસે કઈ મળ્યું નહોતું. ડ્રગ્સ એનાલાઇઝર કીટ દ્વારા ચેક કરાયા: વી.એચ જોશીSOGના પીઆઇ વી.એચ જોશીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચેકિંગ માટે ચાર પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સિંધુભવન રોડ, સી.જી રોડ, વૈષ્ણવદેવી સર્કલ અને રામદેવનગર છે. ડ્રગ્સ એનાલાઇઝર કીટ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. FSLના અધિકારી પણ સાથે છે. કોઈએ નશો કર્યો હોય અને કીટમાં સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:41 pm

ચોરીનું બાઇક ઝડપાયું:સતલાસણા પોલીસે બાઇક ચોર ગેંગના એક સાગરીતને દબોચ્યો, અન્ય બે શખસોની શોધખોળ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં મહેસાણા LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે નવાવાસ સરતાનપુર હાઇવે અને ટીમ્બા ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ યુવકને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક તપાસમાં આ બાઇક ચોરીનું હોવાનું ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના બાઇક સાથે શખસ પસાર થવાની બાતમી મળી હતીમહેસાણા LCB સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક શખસ ચોરીના બાઇક સાથે પસાર થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી સિધ્ધરાજસિંહ મદનસિંહ કલ્યાણસિંહ ઝાલા (ઉ.વ. 29, રહે. બોરીયા બેચરાજી, તા. તલોદ) નામના યુવકને પકડ્યો હતો. તેની પાસે રહેલા હીરો કંપનીના 'HF ડીલક્ષ' મોટરસાયકલ પર નંબર પ્લેટ ન હોવાથી પોલીસે કાગળોની માંગણી કરી હતી. યુવક સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. મિત્રએ ચોરી કરેલું બાઇક વેચવા આપ્યું હતુંપોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ બાઇક તેના મિત્ર હંસરાજસિંહ ભરતસિંહ ચૌહાણ (રહે. ભાલુસણા, તા. સતલાસણા) એ એકાદ વર્ષ પહેલા ચોરી કરીને તેને વેચવા માટે આપ્યું હતું. ત્યારબાદ સિધ્ધરાજસિંહે આ બાઇક તેના અન્ય એક મિત્ર સુરજસિંહ ચંપકસિંહ ઝાલા (રહે. સોનેસર, તા. તલોદ) ને રૂ. 9000માં વેચી દીધું હતું. સતલાસણા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઇક અંગે અગાઉથી જ ચોરીની ફરિયાદ નોંધાયેલી છે. સિધ્ધરાજસિંહની ધરપકડ પોલીસે હાલમાં સિધ્ધરાજસિંહની ધરપકડ કરી છે, જ્યારે બાઇક ચોરીમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો હંસરાજસિંહ ચૌહાણ અને સુરજસિંહ ઝાલાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:30 pm

ખટોદરામાં રસ્તા પર 'બાંગ્લાદેશ મુર્દાબાદ'ના બેનરો સાથે ઉગ્ર દેખાવો:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાના વિરોધમાં રોષ, કહ્યું- હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી

બાંગ્લાદેશમાં હાલમાં પ્રવર્તી રહેલી અરાજકતા અને હિંસાની જ્વાળાઓ હવે ભારત સુધી પહોંચી છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની કરવામાં આવેલી નિર્મમ હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં પણ આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તા પર ઉતરીને અને બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુરતના રસ્તાઓ પર 'બાંગ્લાદેશ મુર્દાબાદ'ના નારાસુરતના અનેક વિસ્તારોમાં બાંગ્લાદેશ મુર્દાબાદ લખેલા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આંતરિક વિરોધ પ્રદર્શિત કરતા આ બેનરો દ્વારા નાગરિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને હિન્દુ સમર્થક સંગઠનોએ એકઠા થઈને દીપુ ચંદ્રદાસની હત્યાને વખોડી કાઢી છે અને માંગ કરી છે કે આ પ્રકારના અત્યાચારો હવે સહન કરવામાં નહીં આવે. ‘હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી’વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક નાગરિક સુરેશભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વિરોધ આપણો એટલે છે કે આજે દુનિયાના ઘણા ભાગોમાં હિન્દુ સુરક્ષિત નથી. જ્યાં પણ હિન્દુઓને સુરક્ષા નથી મળી રહી, તેની સામે આ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન, આવા વિધર્મી દેશોમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે જ અમે આ પોસ્ટરો લગાવીને વિરોધ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક હિન્દુ સુરક્ષિત રહે. વડાપ્રધાન મોદીને કડક પગલાં લેવા વિનંતીપુરુષોત્તમ શર્મા નામના અન્ય એક નાગરિકે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી અને આગ્રહ કરું છું કે બાંગ્લાદેશની સરકાર પાસે આ બાબતે યોગ્ય જવાબ માંગવામાં આવે. દીપુ દાસની જે રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, તે માફીને પાત્ર નથી. ભારત સરકારે આ બાબતે તાત્કાલિક અને સખત પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ દેશમાં હિન્દુઓ પર આવા અત્યાચાર કરવાની કોઈ હિંમત ન કરે. સરકાર પાસે 'ક્વિક એક્શન'ની માગયુવાઓ અને હિન્દુ સંગઠનોમાં પ્રવર્તી રહેલા રોષને જોતા સુરતમાં પોલીસ બંદોબસ્ત પણ સતર્ક કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોની મુખ્ય માગ છે કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે અને બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. સોશિયલ મીડિયા પર પણ દીપુ ચંદ્રદાસની હત્યાના વિરોધમાં અનેક કેમ્પેઈન શરૂ થયા છે, જે સુરતના નાગરિકોના આક્રોશને પ્રતિબિંબિત કરે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:23 pm

મંત્રી પ્રવીણ માળી બનાસકાંઠામાં સંવાદ કાર્યક્રમ યોજશે:જિલ્લાવાસીઓને પોતાની રજૂઆત માટે ગાંધીનગર નહીં જવું પડે, સમય-ખર્ચ બચશે

મંત્રી પ્રવીણ માળી બનાસકાંઠા જિલ્લામાં દર મહિને પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સંવાદ કાર્યક્રમ યોજશે. આ પહેલનો મુખ્ય હેતુ જિલ્લાવાસીઓને પોતાની રજૂઆત માટે ગાંધીનગર સુધી લાંબી મુસાફરી ન કરવી પડે અને તેમનો સમય તથા ખર્ચ બચે તે છે. અગાઉ પણ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મંત્રી પ્રવીણ માળી દ્વારા આવા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું. મંત્રીના જણાવ્યા અનુસાર, જનતાની સુવિધા માટે આગામી સમયમાં પાલનપુર ઉપરાંત ડીસા ખાતે પણ સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સરકારની પહોંચ વધુમાં વધુ લોકો સુધી સુનિશ્ચિત થઈ શકે. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હું જે જિલ્લામાંથી આવું છું, તે બનાસકાંઠાના લોકોને ગાંધીનગર સુધી લાંબુ ન થવું પડે. કાર્યકર્તાઓ, આગેવાનો કે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ખર્ચ ન થાય તે માટે હું મહિનામાં કેટલાક દિવસ નક્કી કરું છું કે બનાસકાંઠાના લોકોના પ્રશ્નો અહીં જ ઉકેલાઈ જાય. તેમણે ઉમેર્યું કે, આ મહિનામાં બીજી વાર આવા કાર્યક્રમનું આયોજન થયું છે અને અહીં બેસીને લોકોના ઘણા પ્રશ્નો હલ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર અમે એક સંવાદની નવતર પહેલ કરી છે કે જિલ્લાના પ્રશ્નો જિલ્લામાં જ ઉકેલાઈ જાય તો ગાંધીનગર કોઈને ન આવવું પડે અને ખર્ચ પણ ન થાય. આ પહેલને કાર્યકર્તાઓ અને નાગરિકોમાં સારો ઉત્સાહ મળ્યો છે, જે તેમના ખર્ચમાં પણ બચાવ કરે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:16 pm

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન:વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા, હજારો ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત આ મહોત્સવનું સમાપન 25 ડિસેમ્બરે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. આ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, યુવા ખેલાડીઓ અને નાગરિકો ઉમટી પડ્યા હતા. જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 લાખથી વધુ ખેલવીરોએ એથ્લેટિક્સ, વોલીબોલ, બાસ્કેટબોલ, સંગીત ખુરશી અને કબડ્ડી જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે રમતગમત દ્વારા શિસ્ત અને ખેલદિલી કેળવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મેયર વિનોદ ખિમસૂર્યા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલ, મુળુ બેરા, મેઘજી ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈયબેન ગડચર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા સહિતના રાજકીય મહાનુભાવો, આગેવાનો અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 3:01 pm

સાંસદ ખેલ મહોત્સવ‌નો સમાપન સમારોહ યોજાયો:Pm મોદી વર્ચ્યુલ જોડાઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સાંસદ ખેલ મહોત્સવમાં યુવા પ્રતિભાને ખીલવા અને ખેલવાનો અવકાશ મળ્યો, ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે

કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ‌નો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા વર્ચ્યુઅલ જોડાઈ ખેલાડીઓ સાથે વાતચીત કરી પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ સમારોહમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ મહોત્સવ‌ સમાપન પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝન અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાના નેતૃત્વમાં યુવા પ્રતિભાને ખીલવા અને ખેલવાનો અવકાશ મળ્યો છે, એટલું જ નહીં ખેલો ઈન્ડિયા‌ જેવી સ્કીમ દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ પણ આવી છે. દેશભરમાં 1 હજારથી વધુ ખેલો ઈન્ડિયા‌ સેન્ટર નિર્માણ પામ્યા છે આ સેન્ટરનાં માધ્યમથી ખેલાડીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળ્યો છે રમતવીરો રમતક્ષેત્રે આગળ વધે, દેશનું નામ રોશન કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હંમેશા એમની સાથે ઉભી છે સરકાર દ્વારા ખેલાડીઓને આધુનિક સ્ટેડિયમ, સ્પોર્ટ્સ એકેડેમી જેવી અદ્યતન પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે સાંસદ ખેલ મહોત્સવમાં દરેક વયના ખેલાડીઓને રમવાની તક મળી રહી છે, તેમણે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખેલ મહાકુંભમાં ગ્રાસ રૂટથી લઈને ટોપ લેવલના દરેક ખેલાડીઓ, દિવ્યાંગોને પોતાની પ્રતિભા દેખાડવાની તક સાંપડી રહી છે વર્ષ 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, કોમનવેલ્થ અમદાવાદનાં આંગણે રમાશે એ આપણાં સૌના માટે ગૌરવની વાત છે, 2036ની ઓલમ્પિકની ગેમ્સ હોસ્ટિંગ માટે ભારત કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓ સાથે સીધો સંવાદ કરી, તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત પણ કરી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતુ, આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 11 વર્ષના શાસનમાં ભારતે અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે, ભાવનગર-બોટાદ જિલ્લાએ સાંસદ ખેલ મહોત્સવમાં ઐતિહાસિક કહી શકાય તેવું રજીસ્ટ્રેશન કરીને રમતમાં સહભાગી બન્યાં છે આ મહોત્સવમાં દિવ્યાંગ ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આમ વિવિધ રમતોમાં સહભાગી બનવા બદલ તેમણે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને વાર્તાલાપ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા, 22 સ્થળો ઉપર તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખો ખો, એથ્લેટિક્સ (100મી.દોડ, ગોળા ફેંક, ‌લાબીકૂદ), નારગેલ, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી (બહેનો), કોથળા દોડ, સિક્કા શોધ અને બાસ્કેટબોલ સહિત 12 રમતો રમાડવામાં આવી હતી, જેમાં 14 વર્ષથી નીચેના, 15 થી 20 વર્ષ સુધીના, 21 થી 35 વર્ષ સુધીના, 36 થી 50 વર્ષ સુધીના તેમજ 51 વર્ષથી ઉપર વય જૂથના ખેલાડી ભાઈઓ- બહેનો ભાગ લીધો હતો આ રમત પાંચ વય જુથમાં યોજવામાં આવી હતી, સાસદ ખેલ મહોત્સવ‌મા 500 થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવ‌ના સમાપન સમારોહમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, કમિશનર ડૉ.એન.કે.મીણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, આગેવાન કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, દિવ્યેશભાઈ સોલંકી, ભરતભાઈ મેર, જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલ ચૌધરી, ભાવનગર શહેરના નગરસેવકો, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં રમતવીરો, રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:54 pm

કવચ અંતર્ગત ઈન્ટર કોલેજ પોસ્ટર-મેકિંગ સ્પર્ધાનું આયોજન:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ, નવગુજરાત ટ્રસ્ટ, આશ્રમ રોડ ખાતે તારીખ 24/12/2025ના રોજ CAWACH અંતર્ગત ઈન્ટર કોલેજ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના સાયબર સેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિષયોમાં સાયબર જાગૃતિ, મહિલા સુરક્ષા અને ડિજિટલ સલામતીને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા. સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. આ કાર્યક્રમ માં નિણાર્યક તરીકે શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સના પ્રાધ્યાપક ડો. રિન્કી મેનન તથા નવગુજરાત કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન નાં પ્રાધ્યાપક પ્રો. પારુલ પટેલે વિજેતાઓનુ સન્માન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. રોનક રાણા, ડૉ. માર્ગી દેસાઈ અને ડો. જનક કવૈયા દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમના પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓમાં સાયબર જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:52 pm

દમણના ઐતિહાસિક ચર્ચ દેશભરમાં જાણીતા:800 વર્ષ જૂનો ઇતિહાસ અને પોર્ટુગીઝ શૈલીનું નકશીકામ, કલાકૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેના રમણીય દરિયાકિનારા સાથે સાથે પોર્ટુગીઝ કાળના ઐતિહાસિક સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. દમણના સદીઓ જૂના ચર્ચો આજે પણ ખ્રિસ્તી સંસ્કૃતિ અને પોર્ટુગીઝ વારસાની ઓળખ તરીકે ઉભા છે. તાજેતરમાં દમણ ચર્ચના ફાધર જોન અલ્બેડાએ દમણના સમૃદ્ધ ખ્રિસ્તી વારસા અને ચર્ચોના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપી હતી. મોટી દમણમાં ચાર મહત્વપૂર્ણ ચર્ચફાધર અલ્બેડાના જણાવ્યા મુજબ, મોટી દમણ વિસ્તારમાં ચાર મહત્વપૂર્ણ ચર્ચો આવેલા છે. તેમાં દમણના કિલ્લામાં આવેલું હોલી નેમ ચર્ચ અને રોઝરી ચેપલ, ભવ્ય સ્થાપત્ય માટે જાણીતું અવર લેડી ઓફ રેમેડીયસ ચર્ચ તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલું અવર લેડી ઓફ એન્ગ્વિશ ચર્ચનો સમાવેશ થાય છે. રેમેડીયસ ચર્ચનો ઇતિહાસ 800 વર્ષ જૂનોખાસ કરીને અવર લેડી ઓફ રેમેડીયસ ચર્ચનો ઇતિહાસ 800 વર્ષથી વધુ જૂનો છે. આ ચર્ચનું નિર્માણ ઇ.સ. 1606માં પોર્ટુગીઝ શાસન દરમિયાન થયું હતું અને તેના મુખ્ય આર્કિટેક્ટ રુઈ ડી મેલો હતા. ચર્ચમાં થયેલું પોર્ટુગીઝ શૈલીનું લાકડાનું નકશીકામ, દેવદૂતો અને સંતોની મૂર્તિઓ આજે પણ અખંડિત છે. તે સમયની ખાસ કેમિકલ પ્રક્રિયા કારણે લાકડું આજે પણ મજબૂત છે. દુર દુરથી લોકો દમણના પ્રવાસે આવે છેવલસાડ જિલ્લા સહિત દેશના અલગ અલગ રાજ્યોમાંથી સહેલાણીઓ પોર્ટુગીઝ સમયમાં નિર્માણ પામેલા ચર્ચને જોવા અને તેમની કલાકૃતિ નિહાળવા આવે છે. દમણ ખાતે આવેલા પોર્ટુગીઝ સમયથી ચાલી આવેલા ચર્ચને જાળવણી અને કલાકૃતિ નિહાળી લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. ઐતિહાસિક ચર્ચની તસવીરો જુઓ...

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:49 pm

અમરેલીની 3 કચેરીઓને બેસ્ટ, ઇમર્જિંગ, એસ્પાયરિંગ પ્રમાણપત્ર:સુશાસન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ સન્માન

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાની ત્રણ કચેરીઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને 'બેસ્ટ', જિલ્લા કલેક્ટર કચેરીને 'ઇમર્જિંગ' અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીને 'એસ્પાયરિંગ' એમ ત્રણ કેટેગરીમાં પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રમાણપત્રો અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સન્માનિત કચેરીઓને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન, 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કેન્દ્રમાં રાખીને વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના મંત્ર સાથે વિવિધ પ્રકલ્પો શરૂ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિવિધ પોર્ટલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની નવી નીતિઓ, રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તાલીમ કાર્યક્રમો, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરના જિલ્લાઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના અધિકારીઓને મુખ્યમંત્રીના દિશાનિર્દેશોનું પાલન ફક્ત એક દિવસ પૂરતું નહીં, પરંતુ દૈનિક કાર્યપદ્ધતિનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે નાગરિકોના કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થાય તેવી કાર્યપદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આંકડા અધિકારી ગોહિલ, તેમજ આરોગ્ય, પંચાયત, માર્ગ અને મકાન સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:46 pm

ગાંધીનગર પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન:તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું

ગાંધીનગર પ્રજાપતિ સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સમાજના સભ્યોને એકબીજા સાથે જોડાવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાયો હતો. સમાજના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિએ સમાજના તમામ સભ્યોને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરમાં રહેતી કશ્વીવિજયભાઈ પ્રજાપતિએ ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:45 pm

સુરેન્દ્રનગરના 1.10 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો મળે છે:મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ શારીરિક વિકાસને વેગ

ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના સુરેન્દ્રનગર જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં છે. આ યોજના અંતર્ગત જિલ્લાની પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓના અંદાજે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓને દૈનિક ધોરણે પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત 11 ડિસેમ્બર, 2024ના રોજ સમગ્ર રાજ્યમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને વેગ આપવાનો છે, જેથી તેઓ કુપોષણ મુક્ત રહી શકે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલ્પાહારનું વિતરણ સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે શિક્ષણ વિભાગ, શાળા સંચાલન સમિતિઓ (SMC) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ પહેલ મધ્યાહ્ન ભોજન યોજનાના પૂરક તરીકે કાર્ય કરે છે. આ યોજના અંતર્ગત બાળકોને દરરોજ મેનૂ મુજબ વૈવિધ્યસભર અને તાજો નાસ્તો પીરસવામાં આવે છે. જેમાં મુખ્યત્વે પ્રોટીનથી ભરપૂર ચણા, મિક્સ કઠોળ અને ચણા ચાટ જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. ખાસ કરીને, સીંગદાણાવાળી સુખડી બાળકોમાં અત્યંત લોકપ્રિય બની છે, જે તેમને જરૂરી કેલરી અને વિટામિન્સ પૂરા પાડી સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવવામાં મદદ કરે છે. શાળાઓમાં સવારના સમયે પૌષ્ટિક નાસ્તો મળવાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્યક્ષમતામાં વધારો જોવા મળ્યો છે. પૌષ્ટિક આહારને કારણે બાળકોમાં એકાગ્રતા વધી છે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ યોજનાના પરિણામે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં વધારો થયો છે અને ભણતર પ્રત્યેની રુચિ પણ વધી છે, જે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક તથા મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. થાનગઢની શ્રી ઉચ્ચ પ્રાથમિક શાળા નં. 16માં ધોરણ-7માં અભ્યાસ કરતી પ્રિયંકા વાઘેલા જણાવે છે કે, શાળામાં દરરોજ મેનૂ મુજબ મળતો નાસ્તો અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજું હોય છે. સવારના સમયે પૌષ્ટિક અલ્પાહાર મળવાથી અમને શારીરિક શક્તિ મળે છે અને ભણવામાં વધુ મન લાગે છે. ખાસ કરીને સીંગદાણાવાળી સુખડી અમને ખૂબ જ ભાવે છે. તદુપરાંત, શ્રી ભાથરિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની મેણિયા દક્ષાએ પણ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, શાળામાં અપાતા ચણા ચાટ, મિક્સ કઠોળનો નાસ્તો મને બહુ ભાવે છે. હું નિયમિતપણે શાળામાં અપાતા નાસ્તાનો લાભ લઈ રહી છું. વિદ્યાર્થીઓના ચહેરા પરની ખુશી સરકારના મક્કમ નિર્ધારની સફળતાની સાક્ષી પૂરે છે. પ્રિયંકા વાઘેલા તથા મેણિયા દક્ષા જેવા હજારો વિદ્યાર્થીઓ રોજ શાળામાં મળતા પૌષ્ટિક અલ્પાહારનો આસ્વાદ માણી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત સરકાર રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણને કેન્દ્રમાં રાખીને સતત નવીન અને લોકહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. શાળા શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, માળખાગત સુવિધાઓનો વિકાસ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન તેમજ કુપોષણ મુક્ત ગુજરાતના લક્ષ્યાંક સાથે સરકાર સતત આગળ વધી રહી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના તે દિશામાં એક સમયોચિત અને દૃઢ પગલું છે. સુશાસન દિવસની ઉજવણી અન્વયે રાજ્ય સરકારની આ યોજના સુશાસન, સંવેદનશીલતા અને સર્વાંગી વિકાસના મૂળ સિદ્ધાંતોને સાકાર કરતી પહેલ તરીકે સામે આવી છે. શાળા શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે 'કુપોષણ મુક્ત ગુજરાત'ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ એક મક્કમ પગલું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણના સમન્વયથી રાજ્યના બાળકોને સ્વસ્થ બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાની દિશામાં ગુજરાત સરકારનો આ પ્રયાસ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:40 pm

કતારગામ ઓડિટોરિયમ અને બાયો-ડાયવર્સિટી પાર્ક હવે ‘અટલજી’ નામે ઓળખાશે:સી.આર. પાટીલે કહ્યું, નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું

સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી નિમિત્તે ઐતિહાસિક કિલ્લા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અટલજીના જીવન તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી ભાવપૂર્વક અંજલિ અર્પી હતી. હવે કતારગામ ઓડિટોરિયમ અને બાયો-ડાયવર્સિટી પાર્ક હવે ‘અટલજી’ નામે ઓળખાશે. સી.આર. પાટીલે કહ્યું, નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું. કતારગામ ઓડિટોરિયમ અને બાયો-ડાયવર્સિટી પાર્કનું નામ બદલાયુંઆ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અટલજીની જીવનયાત્રાનું વિગતવાર વિવરણ કરવામાં આવ્યું હતું.આ અવસરે સી.આર. પાટીલે સુરત મહાનગરપાલિકાના મહત્વના નિર્ણયોને આવકાર્યા હતા. સુરત પાલિકા દ્વારા કતારગામ ઓડિટોરિયમ અને શહેરના બાયો-ડાયવર્સિટી પાર્કને 'અટલ બિહારી વાજપેયી'નું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાટીલે જણાવ્યું હતું કે, આવા મહાન પુરુષોના નામ ઈમારતો અને સ્થળો સાથે જોડવાથી આવનારી પેઢીને સતત પ્રેરણા મળતી રહેશે. અટલજી પોતાના કાર્યો, સ્વભાવ અને વાણીના કારણે લોકોના મનમાં હંમેશા અમર રહેશે. નિર્વિવાદ વ્યક્તિત્વ અટલજીના પથ પર ચાલવા અમે કટિબદ્ધસી.આર. પાટીલે અટલ વાજપેયીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી એક એવું નિર્વિવાદ વ્યક્તિત્વ હતું જેમના સમર્થકો દરેક રાજકીય પક્ષમાં જોવા મળતા હતા. તેઓ માત્ર એક કુશળ રાજનેતા જ નહીં, પરંતુ એક સ્પષ્ટવક્તા, પ્રખર કવિ અને સંઘના સમર્પિત પ્રચારક પણ હતા. પાટીલે ઉમેર્યું કે અટલજી હંમેશા દેશહિતને સર્વોપરી રાખીને શુદ્ધ રાજકારણ કરતા હતા અને ક્યારેય કોઈનું અહિત ઈચ્છતા નહોતા. તેમની અદભૂત વાકછટા, ચતુરાઈ અને શબ્દોના અખૂટ ભંડારને કારણે તેઓ આજે પણ કરોડો લોકોના હૃદયમાં જીવંત છે. તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતુંઐતિહાસિક પ્રસંગોને યાદ કરતા સી.આર. પાટીલે જણાવ્યું કે અટલજીની વિશ્વસનીયતા એટલી હતી કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે વિરોધ પક્ષના નેતા હોવા છતાં અટલજી પર ભરોસો મૂકીને દેશનું નેતૃત્વ સોંપ્યું હતું, જે જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી હતી. કારગિલ યુદ્ધ સમયે દુશ્મનોને પછાડવાનો મક્કમ નિર્ણય હોય કે પછી વૈશ્વિક દબાણ છતાં દેશને અણુશક્તિ પ્રદાન કરવાનો નિર્ધાર, અટલજીએ ક્યારેય હાર સ્વીકારી નહોતી. અમેરિકા સહિતના દેશોના પ્રતિબંધો છતાં તેમણે દેશની સુરક્ષા માટે ત્રણ વખત અણુ પરીક્ષણ કરીને ભારતની તાકાત દુનિયાને બતાવી હતી. વિવિધ કાર્યક્રમો દ્વારા અટલજીને યાદ કરાયાઅંતમાં, સી.આર. પાટીલે ભાજપના કાર્યકર્તાઓ વતી સંકલ્પ લેતા કહ્યું હતું કે, અટલજીએ ચીંધેલા સેવા અને રાષ્ટ્રહિતના માર્ગ પર આગળ વધવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદો અને કાર્યકર્તાઓ વિવિધ કાર્યક્રમો દ્વારા અટલજીને યાદ કરી રહ્યા છે. સુરતમાં પણ અટલજીના જીવન પર આધારિત ફોટો પ્રદર્શનના માધ્યમથી તેમની સ્મૃતિઓને તાજી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:39 pm

ચાવડાપુરા-જીટોડીયા દેવાલયમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી:ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈસુને યજ્ઞ અર્પણ, પ્રસાદ વિતરણ કરાયું

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય, ચાવડાપુરા-જીટોડીયા ખાતે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈસુને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે, ધર્મગુરુઓએ વિશેષ પ્રાર્થના કરી હતી અને ખ્રિસ્ત પ્રસાદનું વિતરણ કર્યું હતું. પ્રાર્થના બાદ ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આજના ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ફાધર આરોકે જણાવ્યું હતું કે, પ્રભુ ઈસુ સત્યનો માર્ગ બતાવવા અને માનવજાતને અંધકારમાંથી બહાર લાવવા આ ધરતી પર અવતર્યા હતા. તેમણે માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા અને પાપીઓનો ઉદ્ધાર કરવા જન્મ લીધો હતો. ફાધર આરોકે વધુમાં કહ્યું કે, પ્રભુ ઈસુ જીવન, આનંદ, આશા, શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવે છે. ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા, શુભ સંદેશ સંભળાવવા અને પ્રેમ, શાંતિ, આનંદ, ન્યાય જેવા મૂલ્યોનો અનુભવ કરાવવા તેમજ શેતાનના કાર્યોને નષ્ટ કરવા માટે તેમનો જન્મ થયો હતો. તેમણે માનવજાતને ક્ષમા, દયા, કરુણા, આશા અને પ્રેમનો અનુભવ કરાવ્યો છે. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે, નાતાલ એ પ્રભુ ઈસુના જન્મનું પર્વ છે. ખ્રિસ્તી સમાજ દર વર્ષે 25મી ડિસેમ્બરે આ પર્વને પૂરા ઉત્સાહ અને આનંદથી ઉજવે છે. પ્રભુ ઈસુ શાંતિ, પ્રેમ અને ક્ષમાનો સંદેશ લઈને આવ્યા હતા, જે સંદેશ લોકો સુધી પહોંચે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. ફાધર જગદીશ મેકવાને પ્રભુ સર્વને સારી તંદુરસ્તી આપે, હંમેશા સાચવી રાખે અને દુનિયામાં જ્યાં ઉચ્ચાટ અને સંકોચ છે ત્યાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ગરીબ, તરછોડાયેલા અને અત્યાચારનો ભોગ બનેલા તમામને પ્રભુ શાંતિ અને કૃપાથી ભરી દે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ફાધર એન્થોની પિચાઈ, ફાધર પ્રમોદ, ફાધર વિજય, બ્રધર, સિસ્ટરો અને મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા. અંતમાં સૌએ એકબીજાને પ્રભુ ઈસુના જન્મની નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:28 pm

અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા, પોલીસ પર હુમલો:ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રક રોકતા પોલીસ કર્મી અને TRB જવાન પર વાહન ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની ફરિયાદો વધતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આવા જ એક કિસ્સામાં, ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રકને રોકવા ગયેલા પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન પર રેતી માફિયા દ્વારા વાહન ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે રેતી ચોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જ અમરેલી તાલુકા પોલીસ પર રેતી માફિયા દ્વારા હુમલાનો પ્રયાસ થયો હતો, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. અમરેલી તાલુકા પોલીસ દ્વારા વાંકીયા નજીકથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન એક ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ આવી રહ્યા હતા, ત્યારે આરોપીએ સ્વીફ્ટ કાર વડે વારંવાર ડમ્પરને આગળ અવરોધ ઉભો કર્યો હતો. રાધેશ્યામ ચોકડી પાસે આરોપીએ પોતાની સ્વીફ્ટ કાર રોકીને રેતી ભરેલા ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ જતા અટકાવ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારીએ સ્વીફ્ટ કાર ચાલકને પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનું નામ પ્રકાશ, સુરેશભાઈ રાઠોડનો દીકરો હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસને ધમકી આપી હતી કે, જો તેના વાહનો છોડવામાં નહીં આવે તો તે પોલીસ પર માર મારવાનો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાનો ખોટો કેસ કરી દેશે. આરોપી પ્રકાશે કાયદેસરની કાર્યવાહી અટકાવવાના ઇરાદે નજીક આવી પથ્થર ઉપાડી પોતાના માથા પર મારવાનું શરૂ કર્યું હતું. તેણે પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલીને કહ્યું કે, તેના પિતા ખૂબ માથાભારે છે અને તેઓ પાછળ આવે જ છે, જે બધાને મારી નાખશે. આવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તે ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ તે સમયે આરોપી સુરેશ વિરાભાઈ રાઠોડ આવ્યા જે પોલીસ સ્ટેશન ચોપડે હિસ્ટ્રીશીટર છે. તેણે પોલીસને બે ફામ અપશબ્દો કહી આજે તો તમે મારા વાહનો લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છો, પરંતુ તમને તમામને ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખવાના છે. આટલું કહી બંને ડમ્પરોના ડ્રાયવરોને પોતાની ગાડીમાં લઇ ભાગી ગયા હતા. આ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી જોકે, આરોપીએ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાનને ઘૂંટણના ભાગે ઈજા કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી અજિતદાન ઈશ્વરદાન ગઢવીએ આરોપી સુરેશભાઈ વીરાભાઈ રાઠોડ,પ્રકાશભાઈ સુરેશભાઈ રાઠોડ બને રેહવાસી કેરાળા ગામના સામે હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધવામાં આવી છે.રેતી માફિયાઓ સામે પોલીસએ કડક કાર્યવાહી શરૂ કરતાં ખનીજ માફિયાઓને પોલીસ કણાની જેમ ઘટકી રહી છે સમગ્ર ઘટનામાં પી.આઇ.ઓમદેવ સિંહ જાડેજાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રેતીચોરી સામે ઝૂંબેશ શરૂ કરી છે. અમરેલી તાલુકા અને શેત્રુંજી નદીના પટમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે છતાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરો, માઇન્સ સુપરવાઈઝર સહિત જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ શા માટે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી રાખવામાં આવી રહી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખનીજ વિભાગ કાર્યવાહી નહિ કરતા પોલીસ તંત્ર પાસે ફરિયાદો વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:25 pm

'મારું બિલ ડ્યુ થયું છે, મારું બિલ ભરી આપો':વડોદરામાં ક્રેડિટ કાર્ડ બિલ ભરપાઈના નામે ભેજાબાજે વેપારી સાથે 2.24 લાખની છેતરપિંડી કરી, સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય વેપારી રામ અશોકકુમાર ઠક્કર ક્રેડિટ કાર્ડના બિલ ભરપાઈ અને સર્વિસ ચાર્જના નામે છેતરપિંડીનો ભોગ બન્યા છે. આરોપીએ તેમની પાસેથી કુલ રૂ. 2,24,000ની રકમ પરત નહીં કરતાં તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રામ ઠક્કરની ફરિયાદ અનુસાર, તેઓ હોટલ, ફ્લાઇટ ટિકિટ બુકિંગ અને ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટનું કામ કરે છે. ગત 7 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6 વાગ્યે આરોપી જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ (રહે. ત્રીજો માળ, શિવ ચેમ્બર, સરદાર ભવન લેન, રાવપુરા, વડોદરા) ફરિયાદીની સમા-સાવલી રોડ પર આવેલી એસ-9 સ્ક્વેર કોમ્પ્લેક્સની એફએફ-42માં આવેલી ગ્લોબલ ડ્રીમ્સ કેરિયર સોલ્યુશન નામની ઓફિસે આવ્યા હતા. આરોપીએ જણાવ્યું હતું કે, તેમનું આઈડીબીઆઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ બિલ 2.24 લાખ રૂપિયા ડ્યુ થયું છે અને હાલ તેમની પાસે રોકડ નથી. તેઓએ ફરિયાદીને વિનંતી કરી કે, તેમનું બિલ ભરી આપે અને બદલામાં 3 ટકા સર્વિસ ચાર્જ અલગથી ચૂકવશે. તેમજ બિલ ભર્યા બાદ કાર્ડમાં ક્રેડિટ લિમિટ પાછી આવી જતાં ફરિયાદીને મૂળ રકમ રૂ. 2.24 લાખ પરત કરવામાં કરશે. આ સહમતિ બાદ ફરિયાદીએ પહેલાં કાર્ડ ચેક કરવા રૂ. 100નું ટેસ્ટ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. કાર્ડ એક્ટિવ હોવાનું જાણતાં ફરિયાદીએ પોતાની કંપનીના આઈડીએફસી બેન્ક ખાતામાંથી આરોપીના ક્રેડિટ કાર્ડમાં રૂ. 2.24 લાખ રૂપિયાનું બિલ ભરી આપ્યું હતું. ત્યારબાદ આરોપીએ પોતાના ક્રેડિટ કાર્ડ દ્વારા ફરિયાદીની કંપનીના ખાતામાં ફાઈઝર્વ સ્વાઈપ મશીનથી પહેલાં 2 લાખ રૂપિયા અને પછી 24 હજાર રૂપિયા મળીને કુલ 2.24 લાખ રૂપિયા પરત કર્યા હતા. સર્વિસ ચાર્જના 6,768 રૂપિયા આરોપીએ બીજા દિવસે યુપીઆઈ દ્વારા ચૂકવ્યા હતા. થોડા દિવસ બાદ ફાઈઝર્વ કંપની તરફથી માહિતી મળી કે આઈડીબીઆઈ બેન્કના કાર્ડધારકે ટ્રાન્ઝેક્શનને સસ્પેક્ટેડ ગણાવી ફરિયાદ કરી છે, જેથી 2.24 લાખ રૂપિયાનું પેમેન્ટ 540 દિવસ સુધી રોકી દેવામાં આવ્યું છે. ફરિયાદીએ આરોપીને સંપર્ક કરતાં તેમણે અજાણ્યા હોવાનું કહ્યું હતું. પછી ફાઈઝર્વની સલાહ મુજબ ફરિયાદીએ આરોપીના કાર્ડમાં 2.24 લાખ રૂપિયા રિફંડ કરાવવા માટે એમએસએફ અને જીએસટી ચાર્જ તરીકે રૂ. 2,478 પણ ભર્યા હતા. સાત દિવસ બાદ રિફંડ થયા બાદ આરોપીએ રકમ પરત કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ રિફંડ થયા પછી આરોપીએ ફોન ઉપાડવાનું અને વોટ્સએપના જવાબ આપવાનું બંધ કરી દીધું. તેમના આપેલા સરનામે મોકલેલા માણસોને પણ તેઓ મળ્યા નહીં. આમ, ક્રેડિટ કાર્ડના બિલ ભરપાઈના નામે છેતરપિંડી કરી રૂ. 2.24 લાખ રૂપિયાની રકમ પરત ન આપનાર આરોપી જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ સામે ફરિયાદીએ સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. સમા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:21 pm

ગાંધીનગરમાં વાજપેયીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું CMના હસ્તે અનાવરણ:ચ-3 સર્કલ બન્યું ‘અટલ સર્કલ’, પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવણી

ગાંધીનગરમાં 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાજપેયીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું CMના હસ્તે અનાવરણ કરાયું અને ચ-3 સર્કલનું નામકરણ કર્યું જે ‘અટલ સર્કલ’ તરીકે ઓળખાશે. વાજપેયીની 12 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણઆ ખાસ પ્રસંગે ગાંધીનગરના ચ-3 સર્કલનું ઐતિહાસિક નામકરણ કરીને તેને ‘અટલ સર્કલ’ તરીકે ઓળખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સર્કલ પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અટલજીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. અટલ સર્કલના આધુનિક નવીનીકરણ પાછળ આશરે 1.19 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી 12 ફૂટ ઊંચી બ્રોન્ઝ ધાતુની મૂર્તિનું નિર્માણ વિશ્વપ્રસિદ્ધ શિલ્પકાર ડૉ. રામ વાનજી સુથાર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતિમા અનાવરણના આ કાર્યક્રમમાં ભાજપના શહેરના હોદ્દેદારો, કાર્યકરો અને અટલજીના અસંખ્ય સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:12 pm

ટાસ્કના બહાને કોટેશ્વરના વૃદ્ધા પાસેથી ઠગે 8 લાખ પડાવ્યા:ઘરેથી ટ્યુશન કરાવતા મહિલાને હોટલ રેટિંગ અને ગોલ્ડ ખરીદવામાં ટાસ્ક આપીને છેતરપિંડી કરી

અમદાવાદમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ગઠિયાઓએ અલગ અલગ ટાસ્કના બહાને 8 લાખ રૂપિયા પડાવ્યા છે. શરૂઆતમાં મહિલાને ટાસ્ક પૂરા કરવા બદલ નાની રકમ ખાતામાં જમા આપી હતી. વૃદ્ધાને વિશ્વાસ આવતા તેમણે ટાસ્ક પૂરા કરવા અને ટ્રેડિંગમાં ટુકડે ટુકડે 8.15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની 13 હજાર રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે બાકીના 8 લાખ ન આપી છેતરપિંડી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ ને વૃદ્ધા ફસાયાઅમદાવાદના કોટેશ્વરમાં રહેતા સંતોષ સિંઘ ઘરેથી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવે છે. 10 ડિસેમ્બરે તેમના ઈન્સ્ટાગ્રામમાં માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ હતી.જે બાદ આઈડી ઉપર સંપર્ક કરતા યુવતીએ તેમને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કર્યા હતા. જેમાં હોટલના રેટિંગના રીવ્યુ આપવાનું સમજાવી ટાસ્ક આપ્યા હતા. આ ટાસ્ક પૂરા કરવા બદલ શરૂઆતમાં તેમને 180,200 રૂપિયા જેવી નાની નાની રકમ તેમના ખાતામાં જમા કરી હતી.જે બાદ બીજા ગ્રુપમાં એડ કરીને થોડા મોટા ટાસ્ક આપ્યા હતા.જેમાં તેમને 1350 અને 3900 પરત આપ્યા હતા. ટુકડે ટુકડે 8.15 લાખ ભર્યા હતાસંતોષબેનને વધુ વિશ્વાસ આવતા તેમણે હોટલ રેટિંગ અને ગોલ્ડ ખરીદીના ટાસ્ક માટે ટુકડે ટુકડે 8.15 લાખ ભર્યા હતા.જેની સામે તેમને 13000 રૂપિયા છે પરત મળ્યા હતા.જ્યારે બાકીના 8 લાખ રૂપિયા અલગ અલગ કારણસર પરત આપ્યા ન હતા જેથી તેમણે આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:51 pm

આણંદમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા, ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

આણંદ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલા 'સાંસદ ખેલ મહોત્સવ'નો સમાપન સમારોહ આજે ડી.એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે જોડાયા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સમારોહ દરમિયાન, વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં ભારતના યુવાનો તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેલાડીઓને સંપૂર્ણ સમર્પણ ભાવથી રમત રમવા માટે પ્રેરણા આપી હતી. આ સમાપન સમારોહ આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્યો અને સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આણંદ જિલ્લામાં નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત આ મહોત્સવમાં બાસ્કેટબોલ, વોલીબોલ, કુસ્તી, જુડો, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:50 pm

અરવલ્લી ગિરિમાળાની સુરક્ષા અંગે વન-પર્યાવરણ મંત્રીનું નિવેદન:પ્રવીણ માળીએ કહ્યું- 'સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગિરિમાળાઓ વધુ સુરક્ષિત બનશે, ખનન પ્રવૃત્તિઓ પર રોક લાગશે'

બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ અરવલ્લી ગિરિમાળાની સુરક્ષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અરવલ્લીની ગિરિમાળાઓ વધુ સુરક્ષિત બનશે અને ખનન પ્રવૃત્તિઓ પર રોક લાગશે. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ દિલ્હી સુધી જતી હતી. જે આજે પણ સુરક્ષિત છે, ભૂતકાળમાં પણ સુરક્ષિત હતી અને આવનારા સમયમાં પણ સુરક્ષિત જ રહેવાની છે. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનાથી તે વધુ સંરક્ષિત થવાની છે. જેટલી પણ ખનન પ્રવૃત્તિઓ થતી હતી એના ઉપર રોક લગાવવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પણ આમાં ચાલતી તમામ ખનન વિધિ બંધ કરવા માટેના આદેશ આપ્યા છે. હું વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે, વિપક્ષના મિત્રોએ જે નેગેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં એ તમામ લોકોને મારે કહેવું છે કે, આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી અને આજે પણ છે.આપણી કુદરતી સંપદા છે, એને જાળવવાની જવાબદારી આપણી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા છે કે, આને વધુ સંરક્ષિત કરવાની છે. એક પણ ઈંચ કોઈ ખનન માટે નથી આપવાની અને એક પણ ઈંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી. વધુ સુરક્ષિત થશે, વધુ સારી રીતે ‘ગ્રીન વોલ’ની જે વાત છે, માનનીય નરેન્દ્ર ભાઈએ એના માટે અનેક યોજનાઓ બનાવી છે અને હજુ પણ ત્યાં વધુ વૃક્ષો વાવીને ગ્રીન વોલ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર ખાતે સેવા પખવાડિયાના સમાપન પ્રસંગે યોજાયો હતો. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, પૂર્વ રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:46 pm

સાંસદ ખેલ મહોત્સવનું સમાપન:વલસાડ-ડાંગના 2.11 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો

દેશભરમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત 'સાંસદ ખેલ મહોત્સવ'નો સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ મહોત્સવમાં વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના 2,11,000 થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મહોત્સવ રાષ્ટ્રીય સ્તરે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના ૨૯૦ થી વધુ એન.ડી.એ. (NDA) સાંસદોએ પોતપોતાના મતવિસ્તારમાં રમતગમત સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો અને દેશના ૧ કરોડથી વધુ યુવાનોની ભાગીદારીને બિરદાવી હતી. વલસાડ-ડાંગ મતવિસ્તારમાં કુલ ૧૪ જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ અન્ડર-૧૪ અને અબાઉ-૧૪ (૧૪ વર્ષથી ઉપર) એમ બે વયજૂથમાં યોજાઈ હતી. આ મહોત્સવ દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવામાં આવી છે. તેમને આગામી સમયમાં શ્રેષ્ઠ તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરેથી પ્રતિભાઓને શોધીને ૨૦૩૦ ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૫ માં ભારતમાં સંભવિત ઓલિમ્પિક્સ માટે મેડલ વિજેતા ખેલાડીઓ તૈયાર કરવાનો છે. આ સાથે જ 'ફિટ ઈન્ડિયા' અને 'ખેલો ઈન્ડિયા' અભિયાનને વધુ વેગ આપવા માટેના પ્રયાસો પણ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:45 pm

લીંબડી જેલમાં કેદીઓની દારૂની મહેફિલ, VIDEO:ત્રણ આરોપીઓએ ગ્લાસ ભરીને ચિયર્સ કર્યું, જેલરે કહ્યું- 'હું હમણાં જ આવ્યો છું, વીડિયો જૂનો છે'

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલમાં કેદીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ વીડિયો છ મહિના જૂનો હોવાનું સામે આવ્યું છે. ત્રણ આરોપીઓએ મહેફિલ માણીવાયરલ થયેલા વીડિયોમાં ત્રણ આરોપીઓ દારૂ પીતા જોવા મળે છે. આ વીડિયો ફરતો થતાં જેલના બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભૂતકાળમાં પણ લીંબડી સબ જેલમાંથી મોબાઈલ, પાન, માવા, બીડી અને સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી, જેના કારણે આ જેલ અગાઉ પણ ચર્ચામાં રહી છે. વીડિયો જૂનો છે, હું થોડા મહિના પહેલા આવ્યો: જેલરઆ મામલે લીંબડી સબ જેલના જેલર ભીખુસિંહ રાણાએ જણાવ્યું હતું કે, તેઓ હાલ રજા પર છે. તેમણે પુષ્ટિ કરી કે વીડિયોમાં દેખાતા આરોપીઓ અગાઉ લીંબડી જેલમાં હતા, પરંતુ આ વીડિયો જૂનો છે. રાણાએ સ્પષ્ટતા કરી કે વીડિયોમાં દેખાતો એકપણ આરોપી હાલ લીંબડી જેલમાં નથી. તેમણે ઉમેર્યું કે, તેમણે થોડા મહિના અગાઉ જ જેલર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:29 pm

જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું:કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યું હોવાનું કારણ આપ્યું

જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે કામનું ભારણ વધુ હોવાથી પદ છોડ્યું હોવાનું કારણ આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:18 pm

ભરૂચ જિલ્લામાં નાતાલ પર્વની ઉજવણી:ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ, ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા

ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની આજે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વના અવસરે ખ્રિસ્તી સમાજના લોકોએ ચર્ચમાં યોજાયેલી ભક્તિસભાઓમાં ભાગ લઈ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. હજારો વર્ષો પહેલાં માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વ ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા તથા પરસ્પર શુભેચ્છાઓ આપી હતી. ખાસ કરીને ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલા એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાતાલ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે રેવ.જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. નાતાલ પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ આનંદ અને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 1:17 pm

વડોદરા NH-48 પર કારચાલકે દાદી અને પૌત્રને ઉડાવ્યા, બંનેના મોત:રોડ ક્રોસ કરતા હતા ને કાળમુખી કારે ટક્કર મારી, ગામડેથી દીકરાના ઘરે આવતા હતા; પરિવારે ન્યાયની માગ કરી

વડોદરા નેશનલ હાઈવે-48 પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો, જેમાં એક બેફામ કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, દાદી અને પૌત્ર પોતાના ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન હાઈવે ઓળંગતી વખતે કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા. એકસાથે બે સ્વજનો ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને પરિવારે આ અકસ્માત સર્જનાર ચાલક વિરુદ્ધ કડક પગલાં ભરી ન્યાય અપાવવાની માગ કરી છે. આ બનાવને લઈ કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાદી અને પૌત્ર રોડ ક્રોસ કરતા કાળમુખી કારે અડફેટે લીધાવડોદરા શહેરના બાપોદ વુડાના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલના શનાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી ( ઉંમર વર્ષ 70) અને દીકરો વનરાજ સોલંકી (ઉંમર વર્ષ 10, મૂળ નિશાળ ફળિયું, વાછાવડ કલોલ પંચમહાલ) ગામડેથી મારા ઘરે બાપોદ વુડાના મકાનમાં આવતા હતા તે દરમ્યાન આ રોડ ક્રોસ કરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ભયંકર ટક્કરથી બંને ફંગોળાયા હતા અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું આ ગંભીર અકસ્માત કપુરાઇ પોલીસે મથક હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે 48 આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકા નગર ઝુપડપટ્ટી આગળ તક્ષ્ય ગેલેક્સી મોલ પહેલા સર્જાયો હતો. આ અકસ્માતમાં તેઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન ફોર વ્હીલર ચાલકે ટક્કર મારી હતી અને દાદી અને પૌત્ર બંને ફંગોળાયા હતા. ગંભીર ઇજાઓને લઈ તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આરોપીને પોલીસ રાઉન્ડઅપ કર્યોઅકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે રાઉન્ડ અપ કર્યો હોવાની માહિતી સામે આવી છે અને આ મામલે કપુરાઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 'મૃતક વનરાજ ધોરણ 5માં ગામડે અભ્યાસ કરે છે'આ અંગે મૃતક બાળક વનરાજ સોલંકીના પિતા અને માતા હરખાબેનના પુત્ર શનાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મારા મમ્મી ગામડેથી મારા બાપોદના વુડાના મકાનમાં રહેવા માટે આવતા હતા. તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો અને મારી માતા હરખીબેન અને દીકરો વનરાજ રોડ ક્રોસ કરતા હતા. તે દરમ્યાન ફોરવોલર વાહન ચાલકે અડફેટે લીધા હતા અને સ્થળ પર જ મોત થયું હતું. મને ન્યાય મળવો જોઈએ. મારી એક દીકરી છે અને મજૂરી કરી જીવન ગુજરાન ચલાવીએ છે. મૃતક વનરાજ ધોરણ 5માં ગામડે અભ્યાસ કરે છે. 'મારા દીકરાને ન્યાય મળવો જોઈએ'આ અંગે મૃતક વનરાજની માતા લક્ષ્મીબેને જણાવ્યું હતું કે, મારા જેઠે મને કોલ કર્યો હતો કે મમ્મી અને નાનાને અકસ્માત થયો છે અને વાગ્યું છે તેવું જણાવ્યું હતું. અમે વાઘોડિયા ચોકડી ગયા હતા ત્યાં કોઈ ન જણાતા આજવા ચોકડી ગયા અને ત્યાં એમ્બ્યુલસ હતી. ત્યાં આધાર કાર્ડ પરથી ઓળખ થઈ હતી. આ રીતે સાધનો આટલા ઝડપી ચલાવતા હોય તો મારા દીકરાને ન્યાય મળવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:56 pm

CNI ચર્ચના પ્રાંગણમાં ગરબાની રમઝટ બોલાવી નાતાલની ઉજવણી:મુગલીસરાના ઐતિહાસિક ચર્ચમાં ક્રિસમસ સેલિબ્રેશન, પશ્ચિમી અને ગુજરાતી પરંપરાનો સંગમ જોવા મળ્યો

સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં પણ ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ચર્ચોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પ્રાર્થના માટે ઉમટી પડ્યા હતા. આ પર્વ નિમિત્તે મુગલીસરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સીએનઆઇ (CNI) ચર્ચમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કહીને પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ચર્ચના પ્રાંગણમાં ગરબાની રમઝટઆ વર્ષે નાતાલની ઉજવણીમાં મુગલીસરાના સીએનઆઇ ચર્ચમાં એક અનોખો અને ભારતીય સંસ્કૃતિના રંગોથી રંગાયેલો દ્રશ્ય જોવા મળ્યો હતો. અહીં નાતાલની ઉજવણી માત્ર પરંપરાગત પ્રાર્થના સુધી સીમિત ન રહેતા, તેમાં ગરબાનો તડકો પણ ઉમેરાયો હતો. ચર્ચના પ્રાંગણમાં ખ્રિસ્તી સમાજના લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ દ્રશ્યએ સાબિત કર્યું હતું કે તહેવારો કોઈપણ હોય, પરંતુ સુરતીઓ તેને પોતાની મસ્તી અને પરંપરા સાથે મનાવવાનું ક્યારેય ચૂકતા નથી. બાળાઓથી લઈને યુવાન-યુવતીઓ અને વડીલો પણ ઉત્સાહભેર જોડાયાચર્ચમાં આયોજિત આ ગરબાના કાર્યક્રમમાં બાળાઓથી લઈને યુવાન-યુવતીઓ અને વડીલો પણ ઉત્સાહભેર જોડાયા હતા. પ્રભુ ઈસુના જન્મોત્સવની ખુશીમાં ખ્રિસ્તી સમાજની મહિલાઓ અને યુવાનો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ચર્ચની અંદર અને બહાર ગુંજી ઉઠેલા ગરબાના સૂર અને લોકોના પગની થાપ જોઈને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભક્તિ અને સંસ્કૃતિના આ સુભગ સમન્વયે નાતાલની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી હતી. પશ્ચિમી અને ગુજરાતી પરંપરાના સંગમ સાથે ધામધૂમથી ઉજવણીશહેરના અન્ય ચર્ચોમાં પણ લાઇટિંગ અને ડેકોરેશન સાથે ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે, પરંતુ મુગલીસરાના આ ચર્ચમાં જોવા મળેલી ગરબાની રમઝટ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ ઉજવણી ભાઈચારો અને સંવાદિતાનું પ્રતીક છે. આમ, સુરતમાં નાતાલનો તહેવાર આ વર્ષે પશ્ચિમી અને ગુજરાતી પરંપરાના સંગમ સાથે ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:40 pm

પાટણમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન:વિજેતાઓને મેડલ-ટ્રોફી આપી સન્માનિત કરાયા, PM મોદીએ વર્ચ્યુઅલી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

પાટણ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલા 'સાંસદ ખેલ મહોત્સવ'નો પાટણના એ.પી.એમ.સી. હોલ ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. તેમણે ખેલાડીઓને સંપૂર્ણ સમર્પણ ભાવથી રમત રમવા માટે પ્રેરણા આપી હતી. આ સમાપન સમારોહ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્યો અને સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પાટણ જિલ્લામાં નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત આ મહોત્સવમાં બાસ્કેટબોલ, વોલીબોલ, કુસ્તી, જુડો, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર-14 બહેનોમાં ટી.ડી.એસ.વી. સ્માર્ટ વિદ્યાલય, જ્યારે અંડર-17 અને ઓપન એજ બહેનોમાં બી.ડી. સાર્વજનિક વિદ્યાલય પ્રથમ સ્થાને રહ્યા હતા. ભાઈઓના વિભાગમાં અંડર-14 માં ટી.ડી.એસ.વી. સ્માર્ટ વિદ્યાલય અને અંડર-17 માં બી.ડી. સાર્વજનિક વિદ્યાલયની A ટીમ વિજેતા બની હતી. વોલીબોલ સ્પર્ધામાં ઓપન એજ બહેનોમાં D.S.C.C. પાટણ અને ભાઈઓમાં ન્યુ એસ.એસ. પાટણની ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કુસ્તીમાં ઓપન એજ 125 kg ભાઈઓમાં નવીનભાઈ હીરાભાઈ પુરોહિત અને અંડર-17 બહેનોમાં સંધ્યા મહેશભાઈ પટણી વિજેતા બન્યા હતા. જુડો સ્પર્ધામાં ઓપન એજ 75 kg ભાઈઓમાં રાહુલ ગોવિંદજી ઠાકોર અને 70 kg બહેનોમાં દિવ્યા શાંતુભાઈ ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બેડમિન્ટનમાં વિવેક પ્રજાપતિ અને હેન્વી પી. પટેલ પોતપોતાના વિભાગમાં વિજેતા રહ્યા હતા. એથ્લેટિક્સ 100 મીટર દોડમાં કિશન પ્રહલાદભાઈ પટણી અને ભૂમિ બી. રાજપૂત જ્યારે સ્કેટિંગમાં રિશી પટેલ અને મિન્સુ એસ. પ્રજાપતિએ પ્રથમ ક્રમ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન વી. ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને એ.પી.એમ.સી. ચેરમેન સ્નેહલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:34 pm

સુરતમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, દીકરાનું મોત:માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં માતાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી, માતાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:24 pm

બ્રિજ પરથી કૂદે તે પહેલાં જ પકડી લીધો:અમદાવાદના CTM બ્રિજ પર છોટાઉદેપુરનો યુવક આપઘાત કરવા ચડ્યો, NSUIના કાર્યકર્તાઓએ જીવ બચાવી પોલીસને સોંપ્યો

અમદાવાદ શહેરમાં આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય બાબતે લોકો પોતાનો જીવ ગુમાવવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે ગઈકાલે(24 નવેમ્બરે) રાત્રે CTM બ્રિજ પરથી યુવક પડતું મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બ્રિજ પર ચડીને કૂદવાનો પ્રયાસ કરતો હોવાથી લોકોનું ટોળું પણ નીચે ભેગું થઈ ગયું હતું. યુવક બ્રિજ પરથી પડતું મુકી જીવ ગુમાવે તે પહેલા જ NSUIના કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો હતો. યુવકે છલાંગ લગાવે તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકને સમજાવીને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ પોલીસને જાણ કરી યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો છે. યુવક આપઘાત કરવા માટે CTM બ્રિજ પર ચડ્યોસામાન્ય બાબતમાં લોકો પોતાનો મહામૂલ્યો જીવ ગુમાવવા માટે તૈયાર થતા હોય છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે એક યુવક પારિવારિક સમસ્યાથી કંટાળી પોતાનો જીવ ગુમાવવા માટે CTM બ્રિજ પર આવી પહોંચ્યો હતો. CTM બ્રિજ પરથી પડતું મૂકી પોતાનો જીવ ગુમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે જ NSUIના કાર્યકર્તાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને યુવકને બ્રિજની રેલીંગ પર ઉભેલો જોઈ ગયા હતા. યુવક બ્રિજની રેલીંગ પર ઊભો હોવાથી નીચે લોકોની ટોળું પણ એકઠું થઈ ગયું હતું. અંદાજે 10 મિનિટ સુધી નીચે ઊભેલા લોકોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક કોઈની વાત સાંભળવા માટે પણ તૈયાર નહતો. યુવક બ્રિજ પરથી છલાંગ લગાવે તે પહેલા જ તેનો કાર્યકરોએ પકડ્યોજેથી NSUI ના કેટલાક કાર્યકર્તાઓ યુવકની નજર ન પડે તે રીતે CTM બ્રિજ પર પહોંચી ગયા હતા. જેમાંથી એક કાર્યકર્તાએ યુવક બ્રિજ પરથી છલાંગ લગાવે તે પહેલા જ તેનો શર્ટ પકડી લીધો હતો. તેમાં છતાં યુવક પોતાનો શર્ટ કાઢીને બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાદ યુવક NSUI ના અન્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવતા હતા. તેમજ તેનો હાથ પકડી તેને સમજાવીને બ્રિજની રેલીંગ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો. છોટાઉદેપુરનો યુવક આ કારણથી ઉપર ચડ્યો હતોજે બાદ યુવકને પૂછતા તે છોટાઉદેપુર જિલ્લાનો અને પારિવારિક સમસ્યાના કારણે જીવ ગુમાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. 'અમે લોકો યુવકની નજર ન પડે તે રીતે બ્રિજ પર ચડી તેનો શર્ટ પકડી લીધો હતો'દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં યુવકનો જીવ બચાવનાર NSUIના કાર્યકર્તા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, અમે સાંજે 7.30 વાગ્યા આસપાસ ગાડી લઈને બીજા NSUI કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા હતા. ત્યારે CTM બ્રિજ નીચે લોકોનું ટોળું ઊભું હતું અને તે બૂમો પાડી રહ્યો હતું. જેથી અમને કંઈક થયું હોય તેવું લાગતા અમે ગાડી સાઈડમાં ઊભી રાખી હતી. નીચે ઊતરીને જોતા એક યુવક બ્રિજની રેલીંગ પર ચડીને કૂદવાનો પ્રયાસ કરી રહ્યો અને લોકોને ન કૂદવા માટે સમજાઈ રહ્યા હતાં. જે બાદ અમે લોકો યુવકની નજર ન પડે તે રીતે બ્રિજ પર ચડી તેનો શર્ટ પકડી લીધો હતો. શર્ટ પકડ્યા બાદ પણ તે શર્ટ કાઢીને કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેથી અન્ય કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા હતા. વધુમાં નારાયણ ભરવાડે જણાવ્યું છે કે, યુવકને પકડી તેને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો. જે બાદ તે કેમ કૂદવા આવ્યો હોવાનું પૂછતા તેણે કહ્યું હતું કે તે છોટાઉદેપુર જિલ્લાનો છે અને પારિવારિક સમસ્યાથી કંટાળી જીવ ગુમાવવા માટે આવ્યો હતો. યુવક અસારવામાં તેના મામા સાથે રહે છેવધુમાં પૂછતા તેણે એવું કહ્યું હતું કે તે અસારવામાં તેના મામા સાથે રહે છે. જેથી પોલીસને જાણ કરી અને ત્યારબાદ તેના મામાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી રામોલ પોલીસ યુવકને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેના મામાને પણ બોલાવવામાં આવ્યા હતા. જો થોડા લેટ થયા હોત તો યુવક બ્રિજ પરથી કૂદી ગયો હોત. તેમજ નીચેથી ગાડીઓ પણ પસાર થઈ રહી હતી જેથી તેની જીવ પણ જઈ શકતો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:19 pm

સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલા બહાર અજંપાભરી શાંતિ:રાજેન્દ્ર પટેલની ટ્રાન્સફર, વેઇટિંગ ઇન પોસ્ટિંગમાં મૂકાયા; નાતાલની રજા હોવાથી કચેરીમાં સન્નાટો

છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેકટર કચેરીમા જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટક કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા બાદ સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરી કલેકટરનો ચાર્જ મહિલા ડીડીઓ કે.એસ.યાજ્ઞિકને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આજે સુરેન્દ્રનગર કલેકટર કચેરીમા નાતાલની રજા હોવાથી કલેકટર કચેરી બંધ જોવા મળી હતી. જ્યારે કલેકટરના બંગલા બહાર અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. પાંચ લોકો સામે ગુનો નોંધાયો1500 કરોડના જમીન NA (બીન ખેતી) કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ના.મામલતદાર ઘરેથી 67 લાખની કેશ મળી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે, જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. કલેક્ટરના બંગલોમાંથી 100 ફાઇલ જપ્તઆ દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.જેથી તેમના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં છે. સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ખુલાસો થયો છે કે, વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના કર્મચારીઓની મોટા પાયે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. કલેક્ટર રાજેન્દ્ર પટેલની ટ્રાન્સફરઈડીની કાર્યવાહી બાદ રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ.રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી દીધી છે અને વેઇટિંગ ઇન પોસ્ટિંગ મૂકાયા છે.તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે.જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:57 am

માંજલપુર વિસ્તારમાં પાણી કાપ, હજારો લોકોને 1-દિવસ પાણી નહીં મળે:સંપ અને ટાંકી સફાઈ કામગીરીને કારણે પાણી વિતરણના સમયમાં ફેરફાર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ખાતે સંપ તેમજ ટાંકીની સફાઈ કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર હોવાથી આ વિસ્તારોમાં એક ટાઇમ પાણી વિતરણના સમયમાં અને દબાણમાં ફેરફાર થશે. જેના કારણે હજારો લોકોને એક દિવસ પાણી નહીં મળે તેવી પાલિકાએ નોટિફિકેશન જારી કરી છે. એક ટાઇમ પાણી વિતરણના સમયમાં ફેરફારવડોદરા મહાનગરપાલિકા ના પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવી છે જેમાં આગામી તારીખ 26 ડિસેમ્બર ને શુક્રવારના રોજ માંજલપુર વિસ્તારમાં સવારના પાણી વિતરણ પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે સાંજના સમયે જે તે વિસ્તારમાં પાણી નહીં મળે. આ દિવસે પાણી કાપઆ કામગીરીના કારણે આગામી 26 ડિસેમ્બરના સવારે કામગીરી શરૂ થતા સાંજના સમયે વિતરણ કરવામાં આવતું પાણી સંપૂર્ણ પણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થતા તારીખ 27 ડિસેમ્બરને શનિવારના સવારના સમયે પાણી સમય કરતા મોડું અને ઓછા દબાણથી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:48 am

ભાવનગરમાં નાતાલ પર્વની ઉજવણી:ચર્ચ રોશનીથી શણગારાયા, મધરાતથી વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ

ભાવનગરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. શહેરના ઐતિહાસિક સેન્ટ ઝેવિયર્સ ચર્ચ સહિતના પ્રાર્થના સ્થળોને આકર્ષક રોશની અને ક્રિસમસ ટ્રીથી શણગારવામાં આવ્યા હતા. ખ્રિસ્તી સમાજ દ્વારા મધરાતથી જ પ્રભુ ઈસુના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશેષ પ્રાર્થના સભાઓ અને કેરોલ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય બજારોમાં સાન્તાક્લોઝના ગણવેશમાં સજ્જ લોકોએ બાળકોને ભેટ-સોગાદો વહેંચી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:44 am

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજો પકડાયો:બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આવેલી મહિલા પાસેથી 1 કરોડથી વધુ કિંમતનો 3.11 કિલો ગાંજો પકડાતા ધરપકડ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઈડ્રોપોનિક ગાંજો પકડાયો છે. બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સુરત આવેલી મહિલા પાસેથી 3,114.15 ગ્રામ ગાંજો પકડાયો છે. હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત એક કરોડથી વધુ છે. કસ્ટમ વિભાગે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX-263 દ્વારા બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફરને અટકાવી હતી. સામાનની તપાસ કરતાં 3.11 કિલો વજનનો લીલોતરી પદાર્થ ધરાવતા 7 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. લીલોતરી પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું પરીક્ષણ થયું હતું. 3.11 કિલો હાઇડ્રોફોનિક ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:43 am

દહેગામ અને રખિયાલમાં બે સગીરાનું અપહરણ:સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે બે યુવકો અપહરણ કરી ફરાર, ઇડરની સગીરા ગર્ભવતી બહેનના ઘરે આવી

ગાંધીનગર જિલ્લાના દહેગામ અને રખિયાલ પોલીસ મથકની હદ વિસ્તારમાં સગીરાઓના અપહરણના બે અલગ-અલગ કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. બંને કિસ્સાઓમાં સગીરાઓને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ભગાડી જવા અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ:દહેગામની સગીરાનું અપહરણ​પ્રથમ ઘટનામાં દહેગામ તાલુકાના એક ગામમાં રહેતા પિતાએ ફરિયાદ નોંધાવી છે કે ગત 1 ડિસેમ્બરના રોજ તેમની 16 વર્ષીય દીકરી રાત્રે ઘરે સૂતી હતી, ત્યારે અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પડોશી ગામ બારોટના મોસમપુરાનો બાદલજી ખોડાજી ચૌહાણ નામનો યુવક પણ તે જ રાત્રિથી ગુમ છે. જેથી વધુ તપાસ કરતા એવી હકીકત સામે આવી હતી કે આ યુવક સગીરાને લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો છે. સગીરાના પિતાએ પુરાવા સાથે દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજો બનાવ:ઇડરની સગીરા ગર્ભવતી બહેનના ઘરે આવીજ્યારે ​અપહરણની બીજી ઘટના અહેમદપુરા ગામેથી પ્રકાશમાં આવી છે. અહીં રહેતી પોતાની ગર્ભવતી બહેનની સારસંભાળ રાખવા માટે આવેલી 17 વર્ષીય સગીરાનું અપહરણ થયું છે. ફરિયાદ મુજબ ગત 17 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગે સાબરકાંઠાના ઈડર તાલુકાના આનંદપુરા ગામનો ભાવેશ દશરથસિંહ ઝાલા નામનો યુવક સગીરાને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સગીરા વડનગર સરકારી પોલીટેકનીક કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મંડપ ડેકોરેશનના કામની મજુરી માટે ગયો ને પ્રેમસંબંધ બંધાયોઆશરે એક વર્ષ પહેલા સગીરાના દાદાનું અવસાન થયું હતું. ત્યારે ભાવેશ દશરથસિંહ ઝાલા મંડપ ડેકોરેશનના કામની મજુરી માટે સગીરાના ઘરે ગયો હતો. એ વખતે બંન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બાદમાં ભાવેશ ઝાલાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું છે. બંને કિસ્સાઓમાં ગુનો નોંધીને તપાસહાલમાં પોલીસે આ બંને કિસ્સાઓમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા અને સગીરાઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સગીરાઓના અપહરણની બે ઘટનાઓ બનતા તેમના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:35 am

પાલનપુરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન:પોલીસ હેડક્વાર્ટર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર ખાતે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સમાપન કાર્યક્રમ 'સેવા પખવાડિયા' અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, મંત્રી પ્રવીણ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને પૂર્વ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:26 am

નવસારી LCBએ જીન્સ ચોરીનો ભેદ ઉકેલ્યો:CCTV ફૂટેજ આધારે યુપીનો શખ્સ 21 પેન્ટ સાથે ઝડપાયો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ શહેરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બ્રાન્ડેડ જીન્સ પેન્ટના પાર્સલની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરી નવસારીની ‘રિચ ગર્લ વેસ્ટર્ન’ કપડાની દુકાનમાંથી થઈ હતી, જેમાં અલગ-અલગ કંપનીના બ્રાન્ડેડ લેડીઝ જીન્સ અને ટ્રાઉઝર પેન્ટના પાર્સલનો સમાવેશ થતો હતો. આ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે સુરત રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. LCB પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.વી. આહીર, વાય.જી.ગઢવી અને એમ.બી. ગામીત સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઇ, નિલેશભાઇ રતીલાલ અને વિજયભાઇ મોહનભાઇને મળેલી ખાનગી બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ અમિત રાજકરણ તિવારી છે, જે હાલ કાલિયાવાડી, ખુલ્લી જગ્યામાં, નવસારી ખાતે રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના થાણા નૈનીમાંડાનો વતની છે. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા 21 નંગ બ્રાન્ડેડ પેન્ટ કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 14,520 આંકવામાં આવી છે. LCB ટીમે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:11 am

20 લોકોનું ટોળું પાઈપ-લાકડીથી યુવક પર તૂટી પડયું, CCTV:પીડિતે કહ્યું, માર ખાધા બાદ મને કલાકો પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો, સચિન GIDCમાં હાથ અડી જવાની વાતમાં બબાલ

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. તલંગપુર રોડ પર આવેલી શિવાંજલી સોસાયટીમાં ગત 22 ડિસેમ્બરના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ એક હચમચાવી દે તેવી ઘટના બની હતી. જૂની અદાવતનો ખાર રાખીને અંકુરસિંહ નામના કામદાર યુવક પર 15થી 20 જેટલા શખ્સોએ લાકડાના દંડા અને પાઈપ વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. 20 જેટલા યુવાનોનું ટોળું આવીને યુવક પર તૂટી પડ્યા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, અંકુરસિંહ સોસાયટીમાં શાંતિથી બેઠો હતો, ત્યારે અચાનક લાકડાના દંડાથી સજ્જ 15થી 20 જેટલા યુવાનોનું ટોળું તેના પર ત્રાટકે છે. અંકુરસિંહને કઈ સમજાય તે પહેલા જ આરોપીઓ તેના પર તૂટી પડે છે અને એક પછી એક લાકડીઓના ફટકા મારવા લાગે છે. હુમલો એટલો ગંભીર હતો કે અંકુરસિંહનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો જેથી તે કોઈને મદદ માટે ફોન ન કરી શકે. ફરીયાદીનો આક્ષેપ છે કે ઘટના 22 ડિસેમ્બરની છે અને ફરિયાદ 24 ડિસેમ્બરના રોજ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભોગ બનનાર અંકુરસિંહે સચિન GIDC પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. હાથ અડી જવાથી બોલાચાલીની જૂની અદાવતમાં જીવલેણ હુમલોપોલીસ તપાસમાં મળેલી વિગતો મુજબ, અંકુરસિંહ અને હુમલાખોરો વચ્ચે અગાઉ સામાન્ય વાતમાં અડફેટે આવી જવાથી કે હાથ અડી જવાથી બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઘટનામાં બંને પક્ષોએ એકબીજાને અપશબ્દો બોલ્યા હતા. આ નાની અમથી વાતનો ખાર રાખીને હુમલાખોરોએ અંકુરસિંહને એકલો જોઈ તેના પર ઘાતકી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. પીઆઈએ ફરિયાદીના આરોપોને નકાર્યાબીજી તરફ, સચિન GIDC પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહ ગોહિલે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના જૂની અદાવતમાં બની છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનો જરા પણ ડર નહીં, ખુલ્લેઆમ હથિયારો સાથે હુમલોદિવસ દહાડે બનેલી આ ઘટનાને પગલે શિવાંજલી સોસાયટી અને આસપાસના વિસ્તારના કામદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોને પોલીસનો જરા પણ ડર ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારો સાથે હુમલો કરતા સચિન GIDCમાં કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 11:10 am

SG-હાઈવે પર ડમ્પરે કારને ટક્કર મારી, કાર ડીવાઈડર પર ચઢી:બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો ને લોકોના ટોળા ભેગા થયા, સદનસીબે જાનહાનિ ટળી

અમદાવાદના એસ.જી. હાઈવે પર વધુ એક અકસ્માત થયો છે. ડમ્પરે એક કારને ટક્કર મારી હતી, જેના કારણે કાર ડીવાઈડર તોડીને ડીવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માત દરમિયાન મોટો બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો હતો. અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સદનસીબે કારમાં બેઠેલા પરિવારનો બચાવ થયો છે. ડમ્પરે કારને ટક્કર મારતાં ડીવાઈડર પર ચઢીઅમદાવાદના એસ.જી, હાઈવે પર એક પરિવાર કારમાં બેસીને રાજપથ ક્લબથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરે કારને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર સુધી ડીવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માતમાં બ્લાસ્ટ જેવો અવાજ ડીવાઈડર અને રેલીંગ પણ તૂટી ગયું હતું. અકસ્માતમાં બ્લાસ્ટ જેવો અવાજ આવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.પોલીસ પણ બનાવની જાણ થતા સ્થળ પર પહોંચી હતી.જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી-પીઆઇ ઉષા વસાવાઅકસ્માત અંગે પોલીસ ફરિયાદ થઈ નથી.ટ્રાફિક પોલીસ તો અકસ્માતના બનાવથી પણ વાકેફ નથી. એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ ઉષા વસાવાએ જણાવ્યું હતું કે, અમને કોઈ વર્ધી મળી નથી.અકસ્માત અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. અમને કોઈ જાણ કરશે તો અમે ફરિયાદ લઇશું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:56 am

વલસાડના વાઈટ ચર્ચમાં ઈશુના જન્મદિનની ઉજવણી:ખ્રિસ્તી સમાજે એકબીજાને શુભેચ્છા પાઠવી, વિશેષ પ્રાર્થના સભા યોજાઈ

વલસાડના વાઈટ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 12 કલાકે ઈશુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ શહેર અને જિલ્લામાં રહેતા તમામ લોકોની તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ વલસાડ શહેર, જિલ્લા અને રાજ્યના લોકોના વૈભવમાં વધારો થાય તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી. આ પ્રાર્થના સભા દરમિયાન દેશના તમામ લોકોની સુખાકારી માટે બાઇબલનું વાંચન કરવામાં આવ્યું હતું. ઈશુના જન્મનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો હતો, જેને સાંભળીને ઉપસ્થિત સૌએ ધન્યતા અનુભવી હતી. વલસાડ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારતમાં નાતાલ પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળે છે. વલસાડ શહેરના ખ્રિસ્તી સમાજના લોકો છેલ્લા એક મહિનાથી નાતાલ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. મધ્યરાત્રિએ ઈશુના જન્મની ઉજવણી બાદ તમામ લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. વલસાડ શહેરમાં આવેલા અલગ અલગ ચર્ચમાં પણ ઈશુના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી સમયે આકાશ આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:47 am

દમણમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી:ચર્ચોમાં મધરાતની પ્રાર્થનામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા

સંઘપ્રદેશ દમણમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 25 ડિસેમ્બરના રોજ ભગવાન ઈસુના જન્મોત્સવ નિમિત્તે ચર્ચોમાં મધરાતની પ્રાર્થનામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં લાંબા સમય સુધી પોર્ટુગીઝ શાસન રહ્યું હોવાથી ખ્રિસ્તી સમુદાયની મોટી વસ્તી છે. આ કારણે નાતાલની ઉજવણી અહીં વિશેષ ભવ્યતાથી થાય છે. પર્વ નિમિત્તે સમગ્ર દમણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.દમણના ઐતિહાસિક ચર્ચોમાં મધરાત્રે વિશેષ પ્રાર્થના (માસ)નું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ભક્તો ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચના ફાધર જોન અલ્બેડાએ જણાવ્યું કે, આ વર્ષે નાતાલ નિમિત્તે અંદાજે 1,000થી 1,500 જેટલા શ્રદ્ધાળુઓ મધરાતની પ્રાર્થનામાં જોડાયા હતા. આ પ્રસંગે વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને સૌહાર્દ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.નાતાલ નિમિત્તે ચર્ચોમાં પ્રભુ ઈસુના જન્મનું નાટ્યરૂપે જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા બેથલેહમની ગભાણમાં ઈસુના જન્મનું દ્રશ્ય રજૂ કરાયું હતું. ચર્ચોને ફૂલો, મીણબત્તીઓ અને રંગીન રોશનીથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા.નાતાલના તહેવારને કારણે દમણના બજારો અને રસ્તાઓ પર પણ રોશનીનો ઝાકઝમાળ જોવા મળ્યો હતો. રંગબેરંગી તારાઓ, સજાવટની વસ્તુઓ અને મીણબત્તીઓથી સમગ્ર શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો, જે સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:32 am

PSI અને LRDની 13,591 જગ્યા માટે 14.28 લાખ ફોર્મ ભરાયા:ટૂંક સમયમાં જ કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે, અગાઉની PSIની એકઝામનું રિઝલ્ટ 10 દિવસમાં આવી શકે છે

ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી PSI અને LRD ની મેગા ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાવાના પૂર્ણ થયા છે. PSI અને લોકરક્ષક કેડર માટે 3 ડિસેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 ડિસેમ્બરે રાત્રે 11:59 વાગ્યે પૂર્ણ થઈ છે. કુલ 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી છે, જે એક ઐતિહાસિક આંકડો માનવામાં આવી રહ્યો છે. ક્યાં કેટલી જગ્યાઓ?આ ભરતીમાં લોકરક્ષક કેડર (LRD) માટે 12,733 અને PSI કેડર માટે 858 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. LRD માં બિનહથિયારી, હથિયારી, SRPF તેમજ જેલ સિપાહીનો સમાવેશ થાય છે, જ્યારે PSI માં બિનહથિયારી, હથિયારી અને જેલર ગ્રુપ-2ની ભરતી કરવામાં આવશે. PSIનું રિઝલ્ટ 10 દિવસમાંભરતી બોર્ડના સૂત્રો અનુસાર અગાઉ લેવાયેલી PSIની લેખિત પરીક્ષાનું પરિણામ આગામી 10 દિવસમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પરિણામ જાહેર થયા બાદ લાયક ઉમેદવારોને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે. જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થશેનાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોક રક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીના અંતમાં PSI અને LRD બંને કેડર માટેની ફિઝિકલ ટેસ્ટ (ગ્રાઉન્ડ ટેસ્ટ) જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે. ફોર્મ ભર્યાના થોડા જ દિવસોમાં ઉમેદવારોને મેદાનમાં ઉતરવા તૈયાર રહેવું પડશે. 14 લાખથી વધુ ફોર્મ ભરાયાભરતી બોર્ડ ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે. 14 લાખથી વધુ અરજીઓ સાથે ગુજરાત પોલીસ ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની છે, જેમાંથી પસંદ થનાર ઉમેદવારો માટે ખાખી વર્દી હવે વધારે દૂર નથી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:28 am

'મને ન્યાય નહીં મળે તો હું BJP છોડી દઇશ':નર્મદામાં ‘75 લાખના તોડ’ મુદ્દે સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં; કહ્યું- સરકાર ખોટા લોકોને બચાવવા માગે છે

નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપે નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. સાંસદે ધારાસભ્ય પર 75 લાખ રૂપિયાનો ‘તોડ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ જિલ્લા કલેક્ટરના વલણને લઈને સાંસદ ભારે રોષે ભરાયા છે. શું છે સમગ્ર વિવાદ?સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે, જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતે જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાત સ્વીકારી હતી. જોકે, ગઈકાલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માંગી, ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માંગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. કલેક્ટરના આ પલટવારથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે. ‘ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ’ – મનસુખ વસાવામીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા સાંસદ મનસુખ વસાવાએ અત્યંત આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે કહ્યું કે, મારી પાસે 75 લાખની માંગણીનું રેકોર્ડિંગ છે, છતાં કલેક્ટર કેમ વાત છુપાવી રહ્યા છે તે સમજાતું નથી. કલેક્ટર ચૈતર વસાવાથી ડરી રહ્યા હોય તેમ લાગે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હું સરકાર અને અધિકારીઓના પક્ષમાં લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. હું આવા ખોટા માણસોને ચલાવી લેવા માંગતો નથી. કલેક્ટરે સાંસદની વાતને નકારી કાઢીબીજી તરફ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને આવેદન આપી આ મામલે તપાસની માગ કરી હતી. કલેક્ટરે સાંસદની વાતને નકારી કાઢતા હવે આ મામલો 'કોણ સાચું અને કોણ ખોટું' તેના પર આવીને અટક્યો છે. હાલ તો આ વિવાદે રાજ્ય સરકાર સુધી પહોંચવાની શક્યતા છે, કારણ કે સાંસદે આ મામલે રાજ્ય સરકાર અને સંગઠન કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:23 am

જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સોએ દાગીનાની ચોરી કરી:જમાલપુરમાં 9 લાખની અને ચાંદલોડિયામાં 51 હજારના દાગીના ઘરેણાંઓ લઈને તસ્કર ફરાર

અમદાવાદ શહેરમાં ગ્રાહક બનીને આવી ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ગ્રાહકનો વેશ ધારણ કરી બે જવેલર્સની દુકાનમાં અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જમાલપુરમાં જગન્નાથ મંદિર પાસે આવેલી સુમન જ્વેલર્સમાં દુકાન માલિકની નજર ચૂકવી ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સો 9 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેમજ ચાંદલોડિયા જગતપુર રોડ પર રાજ જ્વેલર્સમાં સેલ્સમેનની નજર ચૂકવી ગ્રાહક બનીને આવેલી અજાણી મહિલાઓ 51 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. બંને ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધી ચોરી કરતી ગેંગની શોધખોળ શરૂ કરી છે. જમાલપુરમાં જગન્નાથ મંદિર પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાં ચોરીજમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિર પાસે સુમન જ્વેલર્સ આવેલી છે. જ્યાં 10 ડિસેમ્બરે 12 વાગ્યે એક અજાણ્યો શખ્સ બે અજાણી સ્ત્રી અને એક નાના બાળક જ્વેલર્સ પર આવ્યો હતો. ચાંદીનું છત્ર લેવા આવ્યા હોવાનું કહેતા માલિકે અલગ અલગ ચાંદીના છત્ર બતાવ્યા હતા. દુકાન માલિક સાથે અંદાજે 10 મિનિટ સુધી ભાવની રકજક કરી ચાંદીનું છત્ર ખરીદ્યા વગર રવાના થઈ ગયા હતા. જે બાદ 24 ડિસેમ્બરે દુકાન માલિકને સોનાની કાટીની ઇન્કવાયરી આવતા દુકાનમાં તપાસ કરતા સોનાની કાટીના 7 પેકેટ મળી આવ્યા નહોતા. 9 લાખના કિંમતની સોનાની કાટી ન મળી આવતા સીસીટીવી ચેક ર્ક્યા હતા. જેમાં 10 ડિસેમ્બરે ગ્રાહક બનીને આવેલ અજાણ્યો શખ્સ માલિકની નજર ચૂકવી ચોરી કરતો કેદ થયો હતો. જેથી દુકાન માલિકે CCTV ફુટેજના આધારે અજાણ્યા શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદલોડિયા જગતપુર રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં ચોરીબીજી ચોરીની ઘટના ચાંદલોડિયા જગતપુર રોડ પર આવેલી એ રાજ જ્વેલર્સ નામની દુકાનમાં થઈ હતી. 19 ડિસેમ્બરના દિવસે 4 અજાણી સ્ત્રીઓ જ્વેલર્સની દુકાન પર આવી હતી. સોનાની કાનની બુટ્ટીની ખરીદી કરવાનું કહેતા હાજર સેલ્સમેને અલગ અલગ બુટ્ટી બતાવી હતી. જે બાદ કોઈ પણ બુટ્ટીની ખરીદી કર્યા વગર રવાના થઈ ગઈ હતી. જે બાદ સાંજે સોનાના દાગીનાની ગણતરી કરતા લાકડાના ઘોડા પર લગાવેલ કાનમાં પહેરવા માટેની સોનાની એક જોડ બુટ્ટી, સોનાની નાકમાં પહેરવાની નથણી જોવા મળી ન હતી. ત્યારબાદ તપાસ કરતા ગ્રાહક બનીને આવેલી 4 અજાણી સ્ત્રીઓ 51000ના સોનાના દાગીનાની ચોરી કરી રવાના થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી દુકાન માલિકે 4 અજાણી સ્ત્રીઓ વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગ્રાહક બનીને ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:11 am

પાટણમાં ઢોર પકડતી ટીમ પર હુમલો:પકડેલા ઢોર ભગાડ્યા, કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી; 5 શખ્સો સામે ફરિયાદ

પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો છે. આ ઘટનામાં સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના 24 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે આશરે 5:15 વાગ્યે બની હતી. નગરપાલિકાની ટીમ પારેવા સર્કલ પાસે આવેલા વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં 15 થી 20 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની તૈયારી કરી રહી હતી. તે સમયે કેટલાક શખ્સો લાકડીઓ અને ધોકા સાથે મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી નગરપાલિકાના કર્મચારીઓને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા. તેઓએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને પકડેલા ઢોરોને ભગાડવા માટે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો. જેના કારણે જાહેર રોડ પર ઢોરો દોડતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આરોપીઓએ કર્મચારીઓને ફરીવાર ઢોર પકડવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિપુલભાઈ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુભાઈ મનુભાઈ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ નામના પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 110, 189(2), 190, 221, 334(1), 296(b), 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાકેશભાઈ ત્રિભોવનદાશ બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:09 am

પાટણ પાલિકાએ ₹176 કરોડના વિકાસ કામોની દરખાસ્ત કરી:145થી વધુ કામો મંજૂર કરવા સરકારમાં રજૂઆત

પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને સભ્યોએ ગાંધીનગર ખાતે મંત્રી દર્શનાબેન અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. આ રજૂઆત પાટણ શહેરના ₹176 કરોડના અંદાજિત 145થી વધુ વિકાસ કામોને તાત્કાલિક મંજૂરી આપવા માટે કરવામાં આવી હતી. આ કામો વિવિધ રોડ-રસ્તા, સોલાર સિસ્ટમ, જનભાગીદારીના કામો, પાઇપલાઇન અને ઓજી વિસ્તારના કામો સહિત 10 જેટલા હેડ હેઠળની ગ્રાન્ટોમાંથી મંજૂર થયેલા છે. આ દરખાસ્તો ગાંધીનગરની પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીના ગુજરાત શહેરી વિકાસ મિશન વિભાગમાં પેન્ડિંગ છે. મંત્રીઓની મુલાકાત સમયે નગરપાલિકાના સદસ્યો હરેશભાઈ મોદી, દેવચંદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, દશરથભાઈ ઠાકોર અને બે મહિલા સદસ્યો પણ હાજર રહ્યા હતા. પ્રમુખ અને સભ્યો દ્વારા મંત્રીઓ સમક્ષ પાટણના વિકાસ કામોની પેન્ડિંગ દરખાસ્તો અંગેની વિગતો રજૂ કરાઈ હતી. તેમાં પાટણના ઓજી વિસ્તારના ₹8 કરોડના 116 કામોની સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ₹9 કરોડના ખર્ચે પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ખોરસમ સરસ્વતી પાઇપલાઇનમાંથી સીધેસીધું સિદ્ધિ સરોવરમાં પાઇપલાઇન નાખવા માટે ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત પણ કરાઈ હતી. અન્ય મુખ્ય દરખાસ્તોમાં ₹116.58 કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવા અને ગ્રાન્ટ છૂટી કરવા, તેમજ ₹12 કરોડના ખર્ચે શહેરના વિવિધ 17 વિસ્તારોમાં ડામર રોડ બનાવવાના કામોનો સમાવેશ થાય છે. વધુમાં, ₹45 લાખના ખર્ચે શહેરની 7 જુદી જુદી સોસાયટીઓમાં જનભાગીદારીના કામોની સૈદ્ધાંતિક મંજૂરી અને ગ્રાન્ટ અદા કરવા, ₹3 કરોડના ખર્ચે આનંદ સરોવરના રિનોવેશન માટે, અને ₹90 લાખના ખર્ચે શહેરના ગોલ્ડન ચોકડીથી રેલવેના બીજા નાળા સુધી ડામર રોડ બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લે, ₹13.33 કરોડના ખર્ચે 33 સોસાયટીમાં 70% પ્રમાણે ફાળાની આખરી હપ્તાની ગ્રાન્ટ મેળવવા, નગરપાલિકાની અલગ અલગ મિલકતો પર સોલાર સિસ્ટમની અમલવારી કરવા માટેની દરખાસ્ત, અને ₹4.75 કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાગ બગીચામા સહીત સ્થળોએ સોલાર અમલવારી કરવાની દરખાસ્ત જીયુડીસીએલ ગાંધીનગરને ટૂંક સમયમાં સાદર કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:08 am

મોત-જિંદગી વચ્ચે ઝૂલતા આધેડનું દિલધડક રેસ્ક્યૂ, VIDEO:સુરતમાં 10માં માળે બારીમાં સૂતા સમયે ગબડતા 8માં માળે ગ્રીલમાં પગ ફસાતા લટક્યા, કમરે દોરડું બાંધી બારીમાંથી ખેંચ્યા

સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં આજે(25 ડિસેમ્બર) સવારે એક હચમચાવી દેતી ઘટના બની હતી. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગના 10માં માળેથી નીચે પટકાયેલા એક આધેડ 8મા માળની બારીની જાળી અને છજ્જા વચ્ચે ફસાઈ ગયા હતા. મોત અને જિંદગી વચ્ચે ઝૂલી રહેલા આ વ્યક્તિને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે જે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, તે જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સવારે 8 વાગ્યે શું બન્યું?રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી-માર્ટ પાસે આવેલા ‘ટાઈમ ગેલેક્સી’ બિલ્ડિંગના A બ્લોકમાં 10માં માળે રહેતા નિતિનભાઈ અડીયા (ઉંમર આશરે 57 વર્ષ) પોતાના ઘરની બારી પાસે સૂતા હતા. દરમિયાન અચાનક તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા. સદનસીબે તેઓ સીધા જમીન પર પટકાવાને બદલે 8મા માળે આવેલી બારીની બહારની જાળી અને છજ્જાના ભાગે અટકી ગયા હતા. તેમનો પગ ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા. ફાયરબ્રિગેડ એક્શનમાં આવી અને ત્રણ સ્ટેશનની ટીમો કામે લાગીફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા જ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ત્રણ ફાયર સ્ટેશન જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે નીચે જમીન પર ફાયરના જવાનોએ સેફ્ટી નેટ પકડી રાખીફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તરત જ ડબલ પ્રોટેક્શન પ્લાન સાથે કામગીરી શરૂ કરી હતી. સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે નીચે જમીન પર ફાયરના જવાનોએ સેફ્ટી નેટ (જાળી) પકડી રાખી હતી, જેથી જો વ્યક્તિ ઉપરથી સરી પડે તો તેમનો જીવ બચાવી શકાય. 10મા માળેથી રોપ-સેફ્ટી બેલ્ટ વડે નિતિનભાઈને સુરક્ષિત બાંધ્યાબીજી તરફ, જવાનો 10મા માળે અને 8મા માળે પહોંચ્યા હતા. 10મા માળેથી રોપ (દોરડું) અને સેફ્ટી બેલ્ટ વડે નિતિનભાઈને સુરક્ષિત બાંધવામાં આવ્યા હતા. 8માં માળની ગ્રીલમાં પગ ફસાયેલો હોવાથી જાળી કાપીનીતિનભાઇનો પગ 8મા માળની ગ્રીલમાં ફસાયેલો હોવાથી ફાયર જવાનોએ હાઈડ્રોલિક કટર અને સાધનો વડે જાળી કાપીને તેમને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. એક કલાકની જહેમત અને સુખદ અંતઆશરે એક કલાક સુધી ચાલેલી આ મહામહેનત અને ફાયર જવાનોની સમયસૂચકતાના અંતે નિતિનભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે અંદર ખેંચી લેવાયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્કયૂ બાદ તુરંત જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની ગુરુકૃપા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે એક માનવ જિંદગી બચી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 10:00 am

નલિયામાં 1.7 ડિગ્રી પારો ગગડીને 10.3 તાપમાન નોંધાયું:ડીસામાં 3 ડિગ્રીનો ઘટાડો, જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન; ઉત્તર પૂર્વીય તરફના પવન ફૂંકાશે

રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 10.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ ડીસામાં 3 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 13.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જાન્યુઆરી મહિનામાં ઠંડીનો નવો રાઉન્ડ આવવાની શક્યતાવહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જે વિસીબીલીટીમાં ઘટાડો થઈ શકે છે. IMD મુજબ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણ સુકું રહેશે. 29થી 31 ડિસેમ્બર દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જોવા મળી શકે છે. જાન્યુઆરી મહિનામાં ઠંડીનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે. ખાસ કરીને જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થશે. અમદાવાદમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુંઅમદાવાદમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 13.1 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 18.1 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 10.3 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 20.9 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 18.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:52 am

રાજપીપળામાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારને લઇ VHP અને બજરંગદળે પૂતળાદહન કર્યું

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા સતત અત્યાચારો અને હિંસાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ દ્વારા રાજપીપળાના ઐતિહાસિક સફેદ ટાવર પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાંગ્લાદેશના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ આગેવાન ભીખુ દાસને ક્રૂરતાપૂર્વક માર મારી જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટના સામે આવી છે. આવી અનેક ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત નથી અને ત્યાંના મંદિરો તથા પરિવારો પર સતત હુમલા થઈ રહ્યા છે, જે હવે અસહ્ય બન્યા છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા માંગ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે. વધુમાં, સંગઠનોએ ભારતની કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ બાબતે બાંગ્લાદેશ સરકાર સામે કડક પગલાં લેવામાં આવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:46 am

ગીર સોમનાથમાં સફેદ માખીનો ઉપદ્રવ: નારિયેળીના બગીચા નષ્ટ:14 હજાર હેક્ટરમાં વાવેતર છતાં પાક નિષ્ફળ, ખેડૂતો ઝાડ કાપી રહ્યા છે

ગીર સોમનાથ જિલ્લામાં સફેદ માખીના ઉપદ્રવથી નારિયેળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યાના કારણે 14 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરનારા ખેડૂતો પરેશાન છે. સતત પાક નિષ્ફળ જતાં હવે ખેડૂતો નારિયેળીના બગીચા કાપી રહ્યા છે. 'લીલી નાઘેર' તરીકે ઓળખાતા સોરઠ પ્રદેશમાં અગાઉ નારિયેળીનું મબલખ ઉત્પાદન થતું હતું. જોકે, છેલ્લા પાંચેક વર્ષથી સફેદ માખી (મસી)નો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે નારિયેળીના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. વેરાવળ તાલુકાના સોનારીયા ગામમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં ખેડૂતો નારિયેળીના વૃક્ષોનું કટિંગ કરીને બગીચા નષ્ટ કરી રહ્યા છે. સોનારીયા ગામના ખેડૂત રામ લખન અને ડોડીયા મોહનભાઈએ જણાવ્યું કે, સફેદ માખીના કારણે તેમનો પાક સતત નિષ્ફળ જઈ રહ્યો છે. સફેદ માખીના નિયંત્રણ માટે અનેક દવાઓનો ઉપયોગ કરવા છતાં ઉપદ્રવ ઓછો થતો નથી. આથી થાકી-હારીને તેઓ નારિયેળીના બગીચા દૂર કરી મોસમી ખેતી તરફ વળી રહ્યા છે. બીજી તરફ, કૃષિ પાક નિષ્ણાત વૈજ્ઞાનિક રમેશ રાઠોડે નારિયેળ પકવતા બાગાયતી ખેડૂતોને અપીલ કરી છે. તેમણે સફેદ માખીના ઉપદ્રવ સામે જરૂરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને તેને નિયંત્રિત કરવા સૂચનો કર્યા છે અને બગીચા નષ્ટ ન કરવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:39 am

'ગઇ એ ગઇ, પાછી આવી નહીં':શંખેશ્વરના યુવક સાથે લગ્ન કરી યુવતીએ દોઢ લાખ લીધા, એક મહિનો રહીને પિયર ગયા બાદ પરત જ ન ફરી

શંખેશ્વરના 40 વર્ષીય યુવાન સાથે લગ્નના નામે દોઢ લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. એક 'લૂંટેરી દુલ્હન' અને તેના સાથીદારોએ આ છેતરપિંડી આચરી હતી. આ મામલે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, યુવકની ઉંમર થઈ હોવાથી તેમની માતાના સગાઓએ છોકરી બતાવી હતી. યુવકે તેમના બનેવી અને સગા કલાભાઈ સાથે ધોળકા ખાતે રેખા નામની યુવતીને જોવા ગયા હતા. યુવતી પસંદ આવતા, રેખાના પાંચ સ્વજનો 12 જુલાઈ, 2025ના રોજ યુવકના શંખેશ્વર સ્થિત ઘરે આવ્યા હતા. છોકરી પક્ષને પણ યુલકનું ઘર પસંદ આવતા તેઓએ લગ્ન માટે હા પાડી હતી. કલાભાઈએ યુવકને લગ્ન પેટે રેખાના પિતાને રોકડા રૂ. 1.50 લાખ આપવાનું કહ્યું હતું. કલાભાઈએ પૈસાની જવાબદારી લેતા, તે દિવસે રૂ. 50,000 રોકડા આપવામાં આવ્યા હતા અને બાકીના રૂ. 1 લાખ ફુલહારના દિવસે આપવાનું નક્કી થયું હતું. 14 જુલાઈ, 2025ના રોજ ધોળકા ખાતે આશાબેનના ઘરે ફુલહાર સમારોહ યોજાયો હતો, જ્યાં યુવકે બાકીના રૂ. 1 લાખ આશાબેનને આપ્યા હતા. ફુલહાર બાદ યુવક અને રેખા શંખેશ્વર પરત આવ્યા હતા. જોકે, એક મહિના પછી રેખા પિયર જતી રહી હતી. જ્યારે યુવકે તેને પાછા આવવા કહ્યું, ત્યારે તેણે પરિવારજનોની બીમારી અને કાનના દુખાવાનું બહાનું કાઢી આવવાનું ટાળ્યું હતું. થોડા સમય પછી રેખાનો ફોન બંધ થઈ ગયો. યુવકે લગ્ન કરાવનાર કલાભાઈને રેખાને પાછી લાવવા કહેતા, તેમણે પણ ગલ્લાં-તલ્લાં કર્યા અને સંતોષકારક જવાબ આપ્યો નહીં. જ્યારે યુવકે આપેલા પૈસા પાછા માંગ્યા, ત્યારે કલાભાઈએ તમારા પૈસા પાછા નહીં મળે, તમારાથી થાય તે કરી લેજો તેમ કહી દીધું. તપાસ કરતા યુવકને જાણ થઈ કે આ પાંચેય જણાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ મામલે યુવકે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલા ગગાભાઈ સિંધવ (રહે. ધનોરા, તા. શંખેશ્વર), ધારશી ઠાકોર (રહે. રતનપુરા, તા. શંખેશ્વર), હરેશ ભરવાડ (રહે. ધોળકા), આશાબેન (રહે. ધોળકા) અને રેખાબેન ઠાકોર (રહે. આંબેઠી, તા. ધોળકા, જિ. અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:39 am

પાટણ પાલિકાના 16 સભ્યોએ ખાસ સભાની માંગ કરી:પ્રમુખે કાયદાકીય જોગવાઈઓ ટાંકી, સભ્યોએ આગ્રહ ચાલુ રાખ્યો

પાટણ નગરપાલિકાના 16 ભાજપ સભ્યોએ બે મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. આ મામલે સભ્યો અને પ્રમુખ વચ્ચે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સભ્યોએ 11 ડિસેમ્બર, 2025ના રોજ પ્રથમ પત્ર લખીને રજૂઆત કરી હતી. તેના જવાબમાં, પ્રમુખ હિરલબેન પરમારે 16 ડિસેમ્બર, 2025ના રોજ વળતો પત્ર પાઠવીને સામાન્ય સભા બોલાવવા અંગેની કાયદાકીય જોગવાઈઓ દર્શાવી હતી. પ્રમુખના જવાબ બાદ, 16 સભ્યોએ 19 ડિસેમ્બર, 2025ના રોજ બીજો પત્ર મોકલીને કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતા કરી હતી. તેમણે નિયમાનુસાર તાત્કાલિક સામાન્ય સભા બોલાવીને સૂચિત બે મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ફરીથી લેખિત આગ્રહ કર્યો હતો. કારોબારી ચેરમેન મુકેશભાઈ જે. પટેલ સહિતના સભ્યોએ મ્યુનિસિપલ એક્ટ 51/2નો ઉલ્લેખ કર્યો હતો. પ્રમુખ હિરલબેન પરમારે તેમના 16 ડિસેમ્બરના પત્રમાં જણાવ્યું હતું કે સભ્યોનો 51/2 હેઠળનો પત્ર કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધનો હોવાથી રદ થવાપાત્ર છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પ્રમુખને યોગ્ય લાગે ત્યારે ખાસ સામાન્ય સભા બોલાવી શકે છે. પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, પ્રમુખ કે ઉપપ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ માટે એક તૃતીયાંશ સભ્યોની અને અન્ય કોઈ બાબત માટે એક ચતુર્થાંશથી ઓછા ન હોય તેટલા સભ્યોની લેખિત વિનંતી હોય તો 15 દિવસમાં બેઠક બોલાવવી જોઈએ. જો પ્રમુખ ચૂકે તો ઉપપ્રમુખે 30 દિવસમાં અને જો બંને ચૂકે તો ચીફ ઓફિસરે રિજનલ કમિશનરને રિપોર્ટ કરવો જોઈએ, ત્યારબાદ કલેક્ટરે 30 દિવસમાં બેઠક બોલાવવી જોઈએ. આ જોગવાઈઓના સંદર્ભમાં, 16 સભ્યોએ પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં 44 ચૂંટાયેલા નગરસેવકો છે. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 51(2) મુજબ, 11 કે તેથી વધુ સભાસદોની લેખિત વિનંતીથી ખાસ સામાન્ય સભા બોલાવવાની જોગવાઈ છે. તેમણે 11 ડિસેમ્બર, 2025ના રોજની તેમની વિનંતીના 15 દિવસમાં સામાન્ય સભા બોલાવીને તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:33 am

સુરતમાં કોલેજિયનને માર મારતો વીડિયો:સમાધાન માટે બોલાવી 15થી વધુ યુવકો BBAના વિદ્યાર્થી પર લાકડી, સ્ટમ્પ લઈ તૂટી પડ્યા, છોડાવવા આવેલા મિત્રોને પણ ફટકાર્યા, 11ની ધરપકડ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજીયન વિદ્યાર્થી સાથેની જૂની અદાવતમાં હિંસક વળાંક આવ્યો છે. સમાધાનના બહાને બોલાવીને BBAના વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોના ટોળાએ લાકડી અને દંડા વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, ઉત્રાણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યોઆ ઘટનાની મળતી વિગતો અનુસાર મોટા વરાછાના પ્લેટિનિયમ પોઈન્ટ પાસે આ બનાવ બન્યો હતો. હુમલાનો ભોગ બનનાર BBA વિદ્યાર્થી પ્રીત પ્રદીપભાઈ ઘોઘારીને 15 દિવસ પહેલા રાહુલ ગોસ્વામી નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવત રાખીને રાહુલ ગોસ્વામી પ્રીતને મારવા માટે ફરી રહ્યો હતો અને ફોન પર ધમકીઓ પણ આપી હતી. દરમિયાન, સમાધાન કરવાના બહાને પ્રીતને પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો. જાહેરમાં લાકડી અને સ્ટેમ્પ વડે બેફામ માર માર્યોપ્રીત પર રાહુલ ગોસ્વામી સહિત 15થી વધુ યુવકોનું ટોળું તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ પ્રીતને લાકડી, ક્રિકેટના સ્ટમ્પ અને દંડાથી માર માર્યો હતો. મારના કારણે વિદ્યાર્થી નીચે પડી જતા 8થી વધુ યુવકોએ તેને ઘેરી લઈને લાતો મારી હતી. પ્રીતને બચાવવા વચ્ચે પડેલા તેના ત્રણ મિત્રોને પણ ટોળાએ માર માર્યો હતો. આ હુમલામાં પ્રીતને હાથ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોકોમાં ભયનો માહોલ અને પોલીસની એન્ટ્રીરાત્રે જાહેર રોડ પર થયેલી આ મારામારીની ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 15થી વધુ યુવકોએ રીતસરનો આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં 8ના નામજોગ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ‘આજે તો તું બચી ગયો છે, રોડ પર ફરીથી દેખાયો તો જાનથી પતાવી દઈશું’આરોપી રાહુલ ગોસ્વામીએ હુમલો કર્યા બાદ ભાગતા સમયે ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો છે રોડ પર ફરીથી દેખાયો તો જાનથી પતાવી દઈશું. પોલીસે 11 આરોપીઓને ઝડપી રિકન્સ્ટ્રક્શન કર્યુંશહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા આવા તત્વોને પાઠ ભણાવવા ઉત્રાણ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 11 આરોપીઓને દબોચી લીધા હતા. એટલું જ નહીં, જે જગ્યાએ આ આરોપીઓએ ભયનો માહોલ ઉભો કર્યો હતો, તે જ ઘટનાસ્થળે પોલીસ આ તમામ આરોપીઓને લઈ ગઈ હતી અને રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓના નામ હાલ ઉત્રાણ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને શહેરમાં આવા લુખ્ખા તત્વો સામે કડક વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:25 am

જવાહર મેદાનમાં ‘સ્વાદોત્સવ’નો ભવ્ય પ્રારંભ:ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ કહ્યું કે...પિઝા-પાસ્તાને બદલે દેશી સ્વાદનો જાદુ, ભાવેણાવાસીઓનો ઉમળકાભેર પ્રતિસાદ

નાના વ્યવસાયીઓને પ્લેટફોર્મ પૂરું પાડતો ‘સ્વાદોત્સવ’માં સ્વાદ, સંસ્કૃતિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ ભાવનગરના રમત-ગમત અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા તથા 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વેગ આપવા માટે શહેરના જાણીતા જવાહર મેદાન ખાતે ‘સ્વાદ અને આનંદ મેળા' નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો, ​ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના પ્રોત્સાહન અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાની પ્રેરણાથી આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ​આ આનંદ મેળો ભાવેણાવાસીઓ માટે મનોરંજન અને સ્વાદનો ત્રિવેણી સંગમ બની રહેશે, જેમાં​સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી કલા-કૃતિઓ મેળાની રોનક વધારશે. તેમજ ​પરંપરાગત રમતો બાળપણની યાદો તાજી કરાવતી વિવિધ દેશી અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે તથા ​ભાવનગરી સ્વાદ મેળામાં શહેરની પ્રખ્યાત વાનગીઓના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જ્યાં લોકો ભાવનગરના અસલી સ્વાદની મજા માણી શકશે. આ મેળો માત્ર મનોરંજનનું સાધન જ નહીં, પરંતુ સ્થાનિક કલાકારો અને નાના વ્યવસાયીઓને પ્લેટફોર્મ પૂરું પાડી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવાનો એક નમ્ર પ્રયાસ છે, ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, સ્વાદ મેળા નું બે દિવસનું આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત આપણે 'આત્મનિર્ભર ભાવનગર' ની સમિતિ દ્વારા આજે આ બે દિવસનો સ્વાદ અને આનંદનો મેળો કર્યો છે અને તેનું નામ 'સ્વાદોત્સવ' આપ્યું છે ​આમાં ભાવનગરની જે ખૂબ જૂની વાનગીઓ અને સ્વાદ છે, ખાસ કરીને દેશી, જેમાં પિઝા-પાસ્તાનો સમાવેશ નથી થયો, આપણી ભારતીય અને ખાસ ભાવનગરની વાનગીઓ અહીં પીરસવામાં આવી રહી છે, ​ સાથે જ બાળકો માટે દેશી રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે એ જ રીતે બે દિવસ અહીં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવાના છે સાથે સાથે અહીં તુલસી પૂજન, શ્રદ્ધેય અટલજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે,​ એ જ રીતે ચાર સાહેબઝાદાઓના પિક્ચર અને પ્રદર્શન પણ અહીં બતાવવામાં આવનાર છે એટલે આ બે દિવસ ભાવનગરના લોકો માટે સ્વાદ, રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદોત્સવ છે આ આયોજનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ કુમાર શાહ, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિના સદસ્યઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારઓ તથા કાર્યકર્તાઓ શુભેચ્છક મિત્રો તેમજ વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ ઉપસ્થિત રહી મેળાનો આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 9:16 am

ચાલુ ટ્રેનમાં નિવૃત PI ઉપર હુમલો કરનાર આરોપીની ધરપકડ:અમદાવાદ કોર્ટ મુદતે જતા સમયે ધુમ્રપાન કરવા બાબતે બોલાચાલી થતા આગ ઓલવવાની બોટલ અને ઢીંકા-પાટુનો માર મારી મોબાઈલની લૂંટ ચલાવી'તી

રાજકોટ નજીક ચાલુ ટ્રેનમાં નિવૃત પીઆઇ સાથે લૂંટની ઘટના સામે આવતા ગણતરીની કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા ગઈકાલે સવારે કોર્ટ મુદ્દતે જામનગરથી અમદાવાદ જવા વડોદરા જતી ઈન્ટરસિટીમાં બેઠા હતા. દરમિયાન હાપાથી ટ્રેન નીકળી અને જામવંથલી નજીક પહોંચતા ચાલુ ટ્રેનમાં તેમના પર મોઢે રૂમાલ બાંધેલા હિન્‍દીભાષી શખ્‍સે ધુમ્રપાન કરવા જેવી બાબતે બોલાચાલી કરી બાદમાં હુમલો કરી ઢીકાપાટુ તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના લોખંડના બાટલાથી બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખી તેમની પાસેના બે મોબાઇલ ફોન લૂંટી લેતાં રેલ્‍વે પોલીસની ટીમે તપાસ શરૂ કરી હુમલાખોરને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હુમલામાં ગંભીર ઇજા પામનારા નિવૃત પીઆઇને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નિવૃત પીઆઇ અમદાવાદ કોર્ટ મુદતે જતા હતાજામનગરમાં જી.જી.હોસ્‍પિટલ પાસે રહેતાં ધર્મેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77) જામનગર-વડોદરા ઇન્‍ટરસીટી ટ્રેનમાં બેસી ગઈકાલે વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા નીકળ્‍યા હતા ત્‍યારે 5 વાગ્‍યે ટ્રેન હાપાથી ઉપડી પડધરી પહોંચે તે પહેલા ચાલુ ટ્રેનમાં ધર્મેન્‍દ્રસિંહ પર અજાણ્‍યા શખ્સે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના બાટલા વડે માથા-મોઢા પર બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દરમિયાન ટ્રેન રાજકોટ સ્ટેશન આવી ત્‍યારે ધર્મેન્‍દ્રસિંહને લોહી નીકળતી હાલતમાં ટ્રેનમાંથી બહાર આવતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને 108 મારફત સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ધુમ્રપાન કરવા બાબતે આરોપી સાથે બબાલ થઇ હતીધર્મેન્‍દ્રસિંહ જાડેજાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે તેઓ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા. અઢાર વર્ષથી નિવૃત છે, ગઈકાલે અમદાવાદ કોર્ટમાં મુદ્દત હોવાથી જામનગરથી ટ્રેનમાં બેઠા હતા. આ ટ્રેન ધ્રોલ-પડધરી વચ્‍ચે સવારે પાંચેક વાગ્‍યે પહોંચી ત્‍યારે ટ્રેનના ડબ્‍બામાં તેઓ એકલા જ હતા. આ વખતે હિન્‍દીભાષી શખ્સ મોઢે રૂમાલ બાંધી આવી ધૂમ્રપાન કરવા જેવી નજીવી બાબતમાં બોલાચાલી કરી માથાકુટ કરી મારકુટ ચાલુ કરી હતી અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. નિવૃત પીઆઇએ પ્રતિકાર કરતાં આરોપીએ ઢીકા-પાટુ માર્યા હતાં અને બાદમાં ટ્રેનમાં ફાયર સેફટી માટે રખાયેલો લોખંડનો બાટલો કાઢીને તેનાથી બેફામ માર માર્યો હતો. ફરિયાદીના મોબાઇ લૂંટી નાસી ગયા હતાઆરોપી રિવોલ્‍વરનું ખાલી કવર તેમજ બે મોબાઇલ ફોન લૂંટી નાસી ગયો હતો. દરમિયાન રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ફરિયાદી નિવૃત પીઆઇના મોબાઈલ ફોનની લૂંટ ચલાવ્યા બાદ તે ફોનનું લોકેશન ઓન આવતા ટેક્નિકલ સોર્સીસની મદદથી આરોપી નિશાનસીંગ ગુલઝારસિંગ (ઉ.વ.39)ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી મૂળ પંજાબની રહેવાસી છે અને જામનગર નોકરીની શોધમાં આવ્યો હતો. જો કે નોકરી ન મળતા રૂપિયા ન હોવાથી ટ્રેન મારફત પરત ઘરે જતો હતો, દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થતા માર મારી લૂંટ ચલાવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:59 am

કાંકરિયા કાર્નિવલ-2025નો આજથી શુભારંભ, નીકળતા પહેલા રુટ ચેક કરજો!:પહેલા દિવસે કિર્તીદાન ગઢવીના શો, દુબઈનો પાયરો શો નવુ આકર્ષણનું કેન્દ્ર, લાઈટિંગ સેલ્ફી લેવા કરશે મજબૂર

અમદાવાદીઓ માટે વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો તહેવાર એટલે કાંકરિયા કાર્નિવલ 2025ની આજે 25 ડિસેમ્બરથી ભવ્ય શરૂઆત થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 7 વાગ્યે કાર્નિવલનો શુભારંભ થશે, જ્યાં પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવી પોતાના સુરોથી માહોલને રંગીન કરશે. આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણો જેમ કે ડ્રોન શો, પાયરો શો (આગ સાથે ડાન્સ), પેટ ફેશન શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા લેકની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર શહેરના કાંકરિયા તળાવ ખાતે આગામી તા. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાવા જઇ રહ્યો છે. જેમાં VVIPની સાથે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી પોલીસે આગોતરૂ આયોજન કર્યુ છે. શહેર ટ્રાફિક પોલીસે કાંકરિયા લેકની આસપાસનો કેટલોક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કર્યો છે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે. 7 દિવસમાં કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક કલાકારો જેમાં કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી સહિતના કલાકારો પરફોર્મન્સ કરશે. વર્લ્ડ રેકોર્ડ માટે કાર્નિવલમાં કોર્પોરેશનના 3500 સફાઈ કર્મચારીઓ એકત્રિત થશેઆજે સવારે કાંકરિયા કાર્નિવલમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવનાર છે. જેમાં લોકો દ્વારા સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે. લોગો સાથેનું આ બલૂન મોઝેક તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500 કરતા વધુ સફાઈ કર્મચારીઓ એકઠા થશે. સાંજે કાર્નિવલના કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને લઈ જાહેરાત થઈ શકે છે. કાંકરિયા પરિસરમાં પ્રવેશતા લોકોનું લાઈવ મોનિટરિંગ કરાશેકાર્નિવલ માણવા માટે દર વર્ષે સાત દિવસમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે ત્યારે કાંકરિયા પરિસરમાં ભીડ ન થાય અને ભાગદોડથી કોઈ દુર્ઘટના ન થાય તેના માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા સૌપ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરશે. કાંકરિયાના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવી તેની મદદથી કાંકરિયા પરિસરમાં કેટલા લોકો પ્રવેશ કર્યો અને કેટલા હાલમાં હાજર છે, તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખ આસપાસ થઈ જાય તો તાત્કાલિક ધોરણે ગેટ બંધ કરવા માટેની સૂચના અપાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. CCTVનું લાઈવ ફીડ પાલડી કમાન્ડ કંટ્રોલરૂમ સેન્ટર ખાતે મળશેકાંકરિયા લેકફ્રન્ટના અને ઈ-ગવર્નન્સ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય અને ભીડ ન વધે તેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત કાંકરિયા કાર્નિવલમાં કેટલા લોકો પ્રવેશ કરે છે અને કેટલા લોકો હાજર છે તે અંગે લાઇવ માહિતી મેળવવા હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે. કાંકરિયાના સાત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સહિત 34 જગ્યા ઉપર CCTV કેમેરા લગાવ્યા છે. જેનાથી કેટલા લોકો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો છે અને હાલમાં કેટલા લોકો હાજર છે, તેનું લાઈવ ફીડ કાંકરિયા ખાતે ઉભો કરવામાં આવનાર પોલીસ કંટ્રોલરૂમ અને પાલડી કમાન્ડ કંટ્રોલરૂમ સેન્ટર ખાતે મળશે. CCTV સિવાય ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશેકાંકરિયામાં એન્ટ્રી લીધેલા લોકો બહાર નીકળ્યા તેની પણ ગણતરી થઈ જશે અને તેનાથી કાંકરિયામાં લોકોની અવર-જવર પર નજર રહેશે. જો ભીડ વધી જશે તો તાત્કાલિક ધોરણે કાંકરિયાના ગેટ બંધ કરી દેવામાં આવશે અને ત્યાં જ્યારે ભીડ ઓછી થાય ત્યારબાદ પ્રવેશ આપવામાં આવશે. દરેક ગેટ ઉપર તેના માટે એસ્ટેટ વિભાગની ટીમ રહેશે. દર્શકો માટે દરેક ગેટ પર LED પણ લગાવવામાં આવ્યું છે કાંકરિયા પરિસરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના 110 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવેલા છે, જે કેમેરા મારફતે લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે. દરેક ગેટ પાસે એલઇડી પણ લગાવવામાં આવી છે, જ્યાં બેસીને લોકો કાર્યક્રમ માણી શકશે. કાંકરિયા ખાતે આવેલા વ્યાયામ વિદ્યાલયમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા અલગથી એક કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાંથી કાંકરિયા કાર્નિવલની તમામ કામગીરી કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલની સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આજે 25 ડિસેમ્બરના રોજ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે. અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, રાત્રે 10 વાગ્યે ડ્રોન શો થશે. કાંકરિયા કાર્નિવલની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. શહેરની તમામ સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવશે. નરોડા, અમરાઈવાડી અને સરસપુરમાં નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું અને નવી આંગણવાડીઓનું લોકાર્પણ જ્યારે ચાંદખેડા વિસ્તારમાં નવું વેજીટેબલ માર્કેટ, નવું સિનિયર સિટીઝન પાર્ક સહિતના અલગ-અલગ ખાતમુહૂર્ત કરશે. પોલીસ-બંદોબસ્ત તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ હાજર રહેશેમ્યુઝિકલ પર્ફોર્મન્સ, જ્વેલરી મેકિંગ વર્કશોપ, સોશિયલ મીડિયા વર્કશોપ, જાદુગરના શો અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે. કાંકરિયા પરિસરમાં જુદાં-જુદાં સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખૂટા પડી ગયેલાં બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ-બંદોબસ્ત તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે. કાંકરિયામાં અદભુત લાઇટિંગને લઈને લોકોમાં ઉત્સાહ રહેશેઆખું કાંકરિયા પરિસર લાઈટોથી શણગારવામાં આવ્યું છે. લાઈટોના ઝગગાટથી કાંકરિયા પરિસરનો અદભુત નજારો જોવા મળે છે. કાંકરિયાની અંદર અને બહાર બંને જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈટિંગ કરવામાં આવ્યું છે. કાંકરિયાના આસપાસના રોડ ઉપર બહારના ભાગે પણ એલઇડી મૂકવામાં આવી છે જેથી લોકો બહારથી પણ કાર્યક્રમ અને કાંકરિયા પરિસરની પ્રવૃત્તિઓ જોઈ શકશે. કાંકરિયામાં અદભુત લાઇટિંગને લઈ લોકો સેલ્ફી અને ફોટો પાડવા ઉત્સાહિત થશે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 26 ડિસેમ્બરથી ત્રણ અલગ-અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ-અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 8:36 am

કાર્યવાહી:સમુદ્રમાં ગેરકાયદેસર ફિશીંગ કરવાના ઇરાદે એલઇડી લાઇટ ફિટ કરેલ બોટ ઝડપાઈ

સમુદ્રમાં લાઇન ફિશીંગ, લાઈટ ફિશીંગ, ઘેરા ફિશીંગ કરવા પર પ્રતિબંધ છે ત્યારે વિસાવાડા ગામની સામે સમુદ્રમાં લાઈટ ફિશીંગ કરવાના ઇરાદે લાઇટ ફિટ કરેલ નાની બોટ સામે મિયાણી મરીન પોલીસે કાર્યવાહી કરી શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતીથી લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગ થી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફે બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન વિસાવાડા ગામના લેન્ડિંગ પોઇન્ટ સામે દરિયામાં આશિયાના નામની બોટ IND GJ 32 MO 8293 નંબરની નાની બોટમાં અનઅધિકૃત રીતે લાઇટ ફિટ કરેલ બોટ મળી આવતા આ બોટના અકરમ સલીમ ખરાઇ નામના શખ્સ વિરુધ્ધ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:58 am

સાંઢીયા ગટરનું કામ પૂર્ણતાના આરે:ચોમાસે વરસાદી પાણીનો 100 ટકા નિકાલ થશે : કમિશનર

પોરબંદરમાં બાલુબા કન્યા શાળા પાસે સાંઢીયા ગટર બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે ચોમાસા દરમ્યાન ભરાતા પાણીની સમસ્યા દૂર થશે તેવો કમિશનરે દાવો કર્યો છે. મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતુકે, પોરબંદરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. સાંઢીયા ગટરનું કામ પૂર્ણતાના આરે છે. નામાંકિત એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને એજન્સી દ્વારા લેવલ અને સાઇઝ આપેલ છે તે મુજબની કામગીરી ચાલુ છે. ગત ચોમાસે વાડિયા રોડ પર પાણી ભરાયું હતું તેનું તાકીદે નવું કનેક્શન આપી નિરાકરણ કર્યું છે. ભૂતકાળમાં શહેરમાં પાણીના નિકાલ માટે એક જ સાંઢીયા ગટર હતી, હાલ ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન નવું બનાવેલ છે અને જૂનું પણ કાર્યરત છે, બિરલા પાસે પણ પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન કામગીરી ચાલી રહી છે. છાંયા રણમાં પણ પમ્પિંગ સ્ટેશન કામગીરી ચાલુ છે. પાણી નિકાલ માટે અગાઉની સુવિધા કરતા 4 ગણી સુવિધા ઉભી કરી છે. સેક્શન ડિઝાઇન મુજબ બાંધકામ થાય છે એટલે આ ચોમાસે પાણી ભરાવાની સમસ્યા માંથી મુક્તિ મળશે તેવો કમિશનરે દાવો કર્યો છે. ઉલ્લેખનીય છેકે, કમિશ્નરના દાવા સામે આવતા ચોમાસે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા માંથી મુક્તિ મળે છે કે કેમ તે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:57 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 138 ગામ અને પાલિકા પાણીના બીલ ભરતી નથી : નોટિસ આપી પાણી પુરવઠા બોર્ડે સંતોષ માન્યો

પોરબંદર જિલ્લાની 138 પંચાયતો તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ તેમજ કુતિયાણા નગરપાલિકા પ્રજા પાસેથી પાણી વેરો ઉઘરાવવામાં આવી રહ્યા છે પરંતુ પાણી પુરવઠા બોર્ડને એક રૂપિયો પણ ચુકવવામાં આવતો નથી.પોરબંદર જિલ્લા 138 ગામ અને એકપણ પાલિકા વર્ષોથી એક રૂપિયો પણ પાણીના બિલ પેટે ભરતી નથી છતાં પાણી પુરવઠા બોર્ડ પેનલ્ટી લેવા પ્રયાસો કરતું નથી તો સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીનો કેશ કોર્ટમાં ચાલતો હોવાથીતેની પાસેથી પાણીના રૂ.5.74 કરોડ સલવાઈ ગયા છે.પ્રજા પાસેથી પાણીના પૈસા લઈ લેતી પોરબંદર મનપા અને રાણાવાવ, કુતિયાણા નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડના રૂ.90.75 કરોડનું બિલ ચૂકવ્યું નથી. પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડના શિરે હોય છે.ખાસ કરીને જે વિસ્તારમાં ભૂગર્ભ જળ પીવા લાયક ન હોય તેવા વિસ્તારમાં પાણી પૂરું પડવાની જવાબદારી પાણી પુરવઠાની રહેલ છે.પોરબંદર જિલ્લામાં મોટાભાગના ગામ તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાને પીવાનું પાણી પોરબંદર પાણી પુરવઠા બોર્ડ મારફતે વિતરણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.પરંતુ સામે આ પાણી વિતરણનું બિલ પંચાયત કે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દ્વારા વર્ષોથી પાણી પુરવઠા બોર્ડને ચૂકવતું નથી જેથી હાલ કરોડો રૂપિયાનું બિલ પાણી પુરવઠા બોર્ડના શિરે રહેલ છે. પોરબંદર મહાનગરપાલિકા તેમજ રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પ્રજા પાસે પાણીના વેરા ઉઘરાવી રહ્યા છે પરંતુ વર્ષોથી પાણી પુરવઠા બોર્ડને એક રૂપિયો પણ ચૂકવાયો નથી જેથી.પાણી પુરવઠા બોર્ડમાં પોરબંદર મહાનગર પાલિકાના રૂ.68, 49,03,291, રાણાવાવ નગર પાલિકાના રૂ.3,03,08,200, કુતિયાણા નગર પાલિકાના રૂ.45,23,758 બાકી છે.તેમજ પોરબંદર તાલુકાના 47 ગામના રૂ. 2,61,33,983,રાણાવાવ તાલુકાના 51 ગામના રૂ.3,91,71,024 અને કુતિયાણા તાલુકાના 40 ગામના રૂ.3,51,69,351 વર્ષોથી બાકી છે પેનલ્ટી માટે પરમિશન લેવી પડે છે પાણીના બિલ આપવામાં આવે છે તેમજ નોટિસ પણ આપવામાં આવે છે.નોટીશ બાદ પેનલ્ટીની જોગવાઈ હોય છે તે માટે સર્કલ ઓફિસ ખાતેથી પરમિશન લેવી પડે છે. > વી.સી.રંજન,કાર્યપાલક ઈજનેર,પાણી પુરવઠા બોર્ડ બિલ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવી છે : કમિશ્નર પાણી પુરવઠા બોર્ડ તેમજ અન્ય બાકી બીલના સર્વે કરાવ્યો હતો.આ બિલ અંગે સરકારમાં પણ રજુઆત કરવામાં આવી છે.ત્યાંથી જે નિર્ણય આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. > હસમુખ પ્રજાપતિ,મ્યુનિસિપલ કમિશનર

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:56 am

સંશોધન:ફોદાળા ડેમ વિસ્તારની 177 પ્રકારની વનસ્પતિઓનું દસ્તાવેજીકરણ કરાયું

મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના સંશોધકોએ બરડા પર્વતમાળામાં આવેલા પોરબંદર જિલ્લાના ફોદાળા ડેમ વિસ્તારની વનસ્પતિ વૈવિધ્યતા તથા સ્થાનિક સમુદાયોના પરંપરાગત વનસ્પતિ ઉપયોગ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કરતું મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન પ્રકાશિત કર્યું છે. ફોદાળા ડેમ પ્રદેશમાં વનસ્પતિ ઉપયોગનો અભ્યાસ શીર્ષક હેઠળનું આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ ઇથનોબોટની રિસર્ચ એન્ડ એપ્લિકેશનમાં પ્રકાશિત થયું છે. આ જર્નલનું પ્રકાશન જ્યોર્જિયા દેશના ટબિલિસી શહેરમાં આવેલી ઇલિયા સ્ટેટ યુનિવર સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોટનીના ઇથનોબોટની વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ સંશોધન મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સંશોધકો રેખા જી. ધમ્મર અને કુણાલ એન. ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2023થી 2025 દરમિયાન કરાયેલા ક્ષેત્રિય અભ્યાસમાં ફોદાળા ડેમ વિસ્તારની કુલ 177 પ્રકારની વનસ્પતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નેસ વિસ્તારમાં વસતા લોકોમાંથી કુલ 60 સ્થાનિક જાણકારો પાસેથી પરંપરાગત વનસ્પતિ જ્ઞાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં દર્શાવ્યું છે કે પર્યાવરણમાં વધુ ઉપલબ્ધ અને દ્રશ્યમાન વનસ્પ તિઓનો ઉપયોગ સ્થાનિક લોકો દ્વારા વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.માર ગદર્શક ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરંપરાગત વનસ્પતિ જ્ઞાન અંધવિશ્વાસ પર આધારિત નથી, પરંતુ તે પ્રકૃતિ અને પર્યાવરણીય હકીકતો સાથે ઊંડે જોડાયેલું છે. આ જ્ઞાનને સંરક્ષણ યોજન ઓમાં સામેલ કરવું આજના સમયમાં અત્યંત જરૂરી છે.આ અભ્યાસ ગુજરાત સહિત અર્ધ-શુષ્ક વિસ્તારોમાં જીવવૈવિધ્ય સંરક્ષણ અને સ્થાનિક જીવનધ રણાને સંતુલિત રાખવા માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક સાબિત થશે.મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.વી. ટી. થાનકી અને બોટનિકલ એડવાન્સ્ડ એસોસ એશન, ગુજરાતના પ્રમુખ, ડો. એન.કે. પટેલ એ સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા. સંશોધન અનુસાર વનસ્પતિઓનો સૌથી વધુ ઉપયોગ ઔષધીય હેતુઓ માટે 45 ટકા થાય છે. ત્યારબાદ ખાદ્ય વનસ્પતિઓ 25 ટકા અને પશુખોરાક માટે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓ 15 ટકાનો સમાવેશ થાય છે. અભ્યાસ વિસ્તારમાં ઔષધીય છોડ 39.55 ટકા, અને વૃક્ષો 30.51 ટકા મુખ્ય વનસ્પતિ સ્વરૂપ તરીકે નોંધાયા છે.વનસ્પતિના પાંદડા અને પ્રકાંડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ભાગો હોવાનું અભ્યાસમાં જણાયું છે, જે પર્યાવરણીય દૃષ્ટિએ વધુ ટકાઉ માનવામાં આવે છે. ગુગળ જેવી કેટલીક મહત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિઓ અતિઉપયોગના કારણે સંરક્ષણની દૃષ્ટિએ સંવેદનશીલ હોવાનું પણ નોંધાયું છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે નવી દવાઓ શોધી શકાશે દવાઓ તરીકે ઉપયોગી સાબિત થશે સંશોધન આધારે જાણવા મળ્યું હતુકે, સ્થાનિકો 177 જેટલી વનસ્પતિનો ઉપયોગ ખાવામાં, રહેઠાણ અને અન્ય બીજા ઉપયોગમાં લે છે ત્યારે આ સંશોધનના આધારે માનવ કલ્યાણ અર્થે ફાર્માસ્યુટિકલ ઉધોગ માટે નવી દવાઓ શોધી શકાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:56 am

હવાઈ પરિવહન વ્યવસ્થામાં એક નવો અધ્યાય:આજથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ફ્લાઈટ્સ શરૂ

મુંબઈની હવાઈ પરિવહન વ્યવસ્થામાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લગભગ અઢી મહિના પહેલાં ઉદઘાટન કરાયેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (એનએમઆઈએ) પર નાતાલ- નવા વર્ષના તહેવારોની ઉજવણી સાથે ગુરુવારે પ્રથમ વ્યાવસાયિક ફ્લાઈટ ઊતરશે. આ શરૂઆત મુંબઈના ભારે દબાણવાળા હવાઈ ટ્રાફિક માટે મોટી રાહતરૂપ સાબિત થવાની છે. 1997માં કલ્પના કરેલું આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ જમીન અધિગ્રહણ, પર્યાવરણીય મંજૂરીઓ અને અનેક વિલંબોના કારણે લગભગ ત્રણ દાયકામાં સાકાર થયું. 8 ઑક્ટોબર, 2025ના થયેલું ઉદઘાટન વર્ષો સુધી ચાલેલી યોજના અને અમલીકરણનું પરિણામ હતું. આ એરપોર્ટ સિડકો અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) વચ્ચેની જાહેર- ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જેમાં સિડકોની 26% અને એએએચએલની 74% હિસ્સેદારી છે. 25 ડિસેમ્બરથી વાણિજ્યિક કામગીરી સત્તાવાર રીતે શરૂ થશે, જેમાં બહુવિધ એરલાઇન્સ નવા એરપોર્ટ પર અને ત્યાંથી પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ઇન્ડિગો, અકાસા એર, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્ટાર એર શરૂઆતના દિવસે સેવાઓનું સંચાલન કરશે. ફ્લાઇટ શિડ્યુલ અનુસાર, કુલ 30 એર ટ્રાફિક મુવમેન્ટ્સ (એટીએમ) અપેક્ષિત છે, જેમાં 15 આગમન અને 15 પ્રસ્થાનોનો સમાવેશ થાય છે. આજથી આગમન અને પ્રસ્થાન : ઇન્ડિગો કામગીરીમાં સૌથી મોટો હિસ્સો ધરાવશે, જેમાં નવ આગમન અને નવ પ્રસ્થાનોનો સમાવેશ થશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્ટાર એર દરેક બે આગમન અને બે પ્રસ્થાનોનું સંચાલન કરશે. પ્રથમ વાણિજ્યિક આગમન ઇન્ડિગો ફ્લાઇટ ઈન્ડિગોની બેંગલુરુથી આવતી ફ્લાઈટ 6ઈ460 સવારે 8 વાગ્યે થશે, જ્યારે પ્રથમ પ્રસ્થાન ફ્લાઈટ 6ઈ882 હૈદરાબાદ માટે સવારે 8.40 વાગે ઉડાણ ભરે તેવી યોજના છે. દિવસનું છેલ્લું આગમન ઇન્ડિગો ફ્લાઇટ 6ઈ2055 ગોવાના મોપા એરપોર્ટથી સાંજે 6.50 વાગ્યે થશે, ત્યારબાદ અંતિમ પ્રસ્થાન, ઇન્ડિગો ફ્લાઇટ 6ઈ461, સાંજે 7.45 વાગ્યે બેંગલુરુ માટે થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:09 am

રાહત:ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે બેન્ક દ્વારા કરાતી સખ્તીની કાર્યવાહી સામે સ્ટે

મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા કરવામાં આવતી તમામ સખ્તીની કાર્યવાહી પર સ્થગિતી મૂકી છે. આ કાર્યવાહી ઓક્ટોબર 2020ના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના આધારે કરવામાં આવી હતી, જે રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરસીઓએમ) અને તેની ગ્રુપ કંપનીઓ સંબંધિત હતી. ન્યાયમૂર્તિ મિલિંદ જાધવએ પ્રાથમિક દ્રષ્ટિએ અવલોકન કરતાં જણાવ્યું કે, ઓડિટ ફર્મ બીડીઓ એલએલપી દ્વારા તૈયાર કરાયેલ ફોરેન્સિક રિપોર્ટ પર ભરોસો રાખી શકાય નહીં, કારણ કે તે રિપોર્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 2024ની માસ્ટર ડિરેકશન્સ ઓન ફ્રોડ મુજબ પાત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સહી કરાયો નથી. આ 2024ની માર્ગદર્શિકાઓએ 2016ની વ્યવસ્થા બદલી નાખી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આરબીઆઇની નવી માર્ગદર્શિકાઓ મુજબ ફોરેન્સિક ઓડિટર પાસે સંબંધિત કાયદા હેઠળ જરૂરી કાનૂની લાયકાત હોવી ફરજિયાત છે. પાત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગર સહી કરાયેલ રિપોર્ટના આધારે બેંકો દંડાત્મક કાર્યવાહી કરી શકે નહીં. ન્યાયમૂર્તિ જાધવે ચેતવણી આપી કે જો બેંકો નિયમો અને સમયમર્યાદાનું પાલન નહીં કરે તો તેનો વ્યાપક અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે. કોર્ટે નોંધ્યું કે બેંકો વર્ષો સુધી ઘેરી ઊંઘમાં હતી અને 2013થી 2017ના સમયગાળાની ઓડિટ 2019માં શરૂ કરી, તે પણ આરબીઆઈની 2016ની માર્ગદર્શિકાઓમાં નક્કી કરેલ સમયમર્યાદાનું પાલન કર્યા વિના. તેથી શો-કોઝ નોટિસ અને ફ્રોડ તરીકે વર્ગીકરણની પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવવામાં આવી.બેંકો અને બીડીઓ એલએલપીએ આ આદેશને સ્થગિત રાખવાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર કરી. કોર્ટનું કહેવું હતું કે આરબીઆઈની માસ્ટર ડિરેકશન્સ કાગળ પરના વાઘ નથી કે બેંકો પોતાની સુવિધા મુજબ પગલાં ભરી શકે. અનિલ અંબાણી, જે આરકોમના ભૂતપૂર્વ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તેમણે દલીલ કરી હતી કે બીડીઓ એલએલપી માત્ર એક એકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ છે, અને આઈસીએમાં નોંધાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ નથી. ઉપરાંત, રિપોર્ટ પર સહી કરનાર વ્યક્તિ પાસે પ્રેક્ટિસ સર્ટિફિકેટ નહોતું, જેના કારણે આખી કાર્યવાહી0 કાયદેસર નથી. કોર્ટએ આ દલીલોને પ્રાથમિક સ્તરે માન્ય રાખી અનિલ અંબાણીને મોટી રાહત આપી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:08 am

આયોજન:થાણેમાં બાંસુરી ઉત્સવમાં 100 વાંસળીવાદકોની ફ્લુટ સિમ્ફોની

બહુપ્રતિક્ષિત બાંસુરી ઉત્સવની 17મી આવૃત્તિ 3-4 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 વાગ્યાથી થાણે પશ્ચિમના ડો. કાશીનાથ ઘાણેકર ઓડિટોરિયમમાં યોજાશે. વાંસળી દિગ્ગજ વિવેક સોનારની આગેવાનીમાં 100 વાંસળીવાદકો એકસાથે પરફોર્મ કરશે. આ ફ્લુટ સિમ્ફોનીમાં વરિષ્ઠ શાસ્ત્રીય ગાયિકા પદ્મશ્રી શુભા મુદગલ, અજોડ સંગીત ત્રિપુટી કૃષ્ણા પ્રિયા, અદિતિ ભાગવત, વિવેક સોનાર અને શાસ્ત્રીય ગાયિકા મીતા પંડિત ભાગ લેશે.પદ્મવિભૂષણ વાંસળી દિગ્ગજ પં. હરિપ્રસાદ ચૌરસિયા દ્વારા માસ્ટરસ્ટ્રોક્સ પ્રસ્તુત કરાશે. આ વર્ષે પં. હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ 2026 પદ્મભૂષણ જાવેદ અખ્તરને એનાયત કરાશે. ભારતીય શાસ્ત્રીય સંગીત, ખાસ કરીને વાંસળી અને અન્ય સંગીત સ્વરૂપોનો પ્રચાર કરવા અને લોકપ્રિય બનાવવા માટે વિવેક સોનાર સ્થાપિત ધર્માદા ટ્રસ્ટ ગુરુકુલ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આ બે દિવસના સંગીત મહોત્સવમાં બીજા દિવસે સર્વ વયજૂથના 100 જેટલા વાંસળીવાદકો એકસાથે વાંસળીવાદન કરશે. પ્રથમ દિવસે કથ્થક નૃત્યાંગના કૃષ્ણા પ્રિયા અને અદિતિ ભગવત સાથે વિવેક સોનારનો પરફોર્મન્સ રહેશે, જે પછી મીતા પંડિત શાસ્ત્રીય ગાયન કરશે. પં. હરિપ્રસાદ ચૌરસિયાના વાંસળીવાદન સાથે પ્રથમ દિવસની પૂર્ણાહુતિ થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:07 am

આત્મવિશ્વાસ, ઈમાનદાર- રમતિયાળ ભાવનાનો સંદેશ:અંધેરીની શાળામાં બાળકો દ્વારા માનવ પિરામિડ રચી ઓપરેશન સિંદૂરનું પ્રદર્શન

શ્રી નાગરદાસ ડી. ભુતા હાઈ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી અને પ્રાઈમરી વિભાગ દ્વારા વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫–૨૦૨૬નું ભવ્ય આયોજન ૨૧ ડિસેમ્બરે સ્વ. જયસુખલાલ નાગરદાસ ભુટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું. આત્મવિશ્વાસ,ઈમાનદારી, રમતિયાળ ભાવના અને સતત પ્રયત્નનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યો. માનનીય મેનેજિંગ ટ્રસ્ટી કમલેશ ભુતા તથા ટ્રસ્ટી દેવાંગી ભુતાના હસ્તે પરંપરાગત લેઝિમ નૃત્ય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપન, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પી.ટી.એ. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું. દીપ પ્રગટાવ્યા બાદ પ્રાર્થના, શાળા ગાન, મહેમાનોનું સન્માન, પ્રેરણાદાયક ભાષણ, શપથવિધિ, ટોર્ચ પ્રજ્વલન અને માર્ચ પાસ્ટ સાથે રમતોત્સવની શરૂઆત કરવામાં આવી. રમતોત્સવ દરમિયાન માનવ પિરામિડ, “ઓપરેશન સિંદૂર” પ્રદર્શન, પ્રિ-પ્રાઈમરી માટે ફન ગેમ્સ તથા પ્રાઈમરી વિભાગ માટે દોડ સ્પર્ધાઓ, ટ્રેક ઇવેન્ટ્સ અને કબડ્ડી મેચ યોજાઈ.નાનકડા ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ આનંદ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે આ ભવ્ય રમતોત્સવનું સમાપન થયું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:07 am

કરૂણાંતિકા:થાણેમાં રખડુ કૂતરું કરડ્યા બાદ બાળકીનું એક મહિના પછી મૃત્યુ

થાણે જિલ્લામાં રસ્તા પરના કૂતરા કરડવાના એક દુખદ બનાવમાં છ વર્ષની બાળકીનું એક મહિના કરતાં વધુ સમય પછી મોત થયું છે, એવી માહિતી બુધવારે મહાપાલિકા અધિકારીએ આપી. બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, સમયસર તમામ સારવાર, જેમાં એન્ટી-રેબીઝ ઇન્જેક્શનનો સમાવેશ થાય છે, આપવામાં આવી હતી, અને શરૂઆતમાં તેની તબિયત સારી હોવાથી પરિવારજનોએ તેનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, નિશા શિંદે નામની બાળકી 17 નવેમ્બરે દિવા વિસ્તારમાં પોતાના ઘરની બહાર રમતી હતી ત્યારે એક રસ્તા પરના કૂતરાએ તેના ખભા અને ગાલ પર બચકું ભર્યું હતું. ઘટના બાદ તેને પહેલાં સ્થાનિક ડૉક્ટર પાસે લઈ જવાઈ હતી અને ત્યાર બાદ કલ્યાણ- ડોમ્બિવલી મહાપાલિકા (કેડીએમસી) દ્વારા સંચાલિત શાસ્ત્રીનગર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ મામલે કેડીએમસીની તબીબી આરોગ્ય અધિકારી ડો. દીપા શુકલાએ જણાવ્યું કે, બાળકીની સારવાર દરમિયાન તમામ નિર્ધારિત તબીબી પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું.બાળકીની માતા સુષ્મા શિંદે મુજબ, નિશાને નક્કી કરેલી તબીબી માર્ગદર્શિકા અનુસાર તમામ ફરજિયાત એન્ટી- રેબીઝ ઇન્જેક્શન સમયસર આપવામાં આવ્યા હતા. સારવાર બાદ નિશાની તબિયત સામાન્ય જણાતી હતી અને તેણે 3 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. પરંતુ 16 ડિસેમ્બરે, એન્ટી-રેબીઝ રસીની અંતિમ ડોઝ લીધાના એક દિવસ પછી, નિશાને તીવ્ર તાવ અને માથાનો દુખાવો શરૂ થયો. માતાના જણાવ્યા અનુસાર તેના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો, તે પથારી પર માથું અથડાવતી અને નજીક રહેલાઓને ખંજવાળતી હતી. ત્યારબાદ તેને ફરી કેડીએમસીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને વધુ સારવાર માટે મુંબઈની એક નાગરિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ તેનું જીવન બચાવી શકાયું નહોતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:06 am

સિટી એન્કર:પાલિકા ચૂંટણીમાં બળવાખોરો-અપક્ષોની સંખ્યા વધી શકે છે

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે મંગળવાર 23 ડિસેમ્બરથી નોમિનેશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. આ વખતની ચૂંટણીમાં મુંબઈના મુખ્ય પક્ષ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે ફાડિયા થયા હોવાથી મહાયુતી અને આઘાડીના નવા સમીકરણ તૈયાર થયા છે. તેથી ઈચ્છુકોની ટિકિટ નકારવી પડશે એવી ઘણી શક્યતા છે. આ બધાના પરિણામ સ્વરૂપે બળવાખોરો અને અપક્ષોની સંખ્યા વધે એવી શક્યતા છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ફક્ત 25 દિવ સ બચ્યા છે. 23 ડિસેમ્બરથી નોમિનેશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જો કે હજી પણ મહાયુતી અને શિવસેના-મનસે જેવા મુખ્ય પક્ષોમાં સીટની વહેંચણી બાબતે ચર્ચા ચાલુ છે. આ વખતની મુંબઈ મહાપાલિકાની ચૂંટણી રસાકસીભરી થવાની છે. છેલ્લા લગભગ 27 વર્ષથી સત્તા ભોગવતા શિવસેનામાં ફૂટ પડ્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે. શિવસેના ઠાકરે જૂથ અને શિવસેના શિંદે જૂથ બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે. એ સાથે જ સૌથી વધુ સીટ મેળવવા માટે ભાજપે જોરદાર પ્રયત્ન શરૂ કર્યા છે. આ ચૂંટણી શિવસેનાના બે જૂથ માટે જેટલી પ્રતિષ્ઠાની છે એટલી જ ભાજપ માટે પણ છે. આગામી મહાપાલિકા ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથ અને ભાજપ મહાયુતીમાં કેવી રીતે સીટની વહેંચણી થશે એના પર બધાનું ધ્યાન છે. છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષથી શિવસેનાએ ભાજપને ક્યારેય વધુ સીટ આપી નહોતી. એનો રોષ ભાજપ કાર્યકર્તાઓના મનમાં છે. શિવસેનાના બે ફાડિયા થયા પછી આ પ્રથમ ચૂંટણી છે. તેથી આ ચૂંટણીમાં ભાજપ પોતાની પાસે વધુ સીટ રાખશે એવી પણ શક્યતા છે. આ વખતે વધુમાં વધુ સીટ પર લડીને સૌથી મોટો વિજય મેળવવાનો ભાજપનો પ્રયત્ન છે. બીજી તરફ મનસેની સ્થાપના પછી પહેલી વખત ઠાકરે ભાઈઓ એક થઈને ચૂંટણી લડે એવી શક્યતા છે. તેથી શિવસેનાની હકની સીટમાંથી કેટલીક મનસેને આપવી પડશે. હજી મહાયુતી અને ઠાકરે ભાઈઓ વચ્ચે સીટની વહેંચણી બાબતે ચર્ચા ચાલુ છે. પક્ષાંતર કરનારાની સંખ્યા વધશેચારેય પક્ષમાં ઈચ્છુકોની સંખ્યા મોટી હોવાથી અનેકની ટિકિટ નકારવામાં આવશે. તેથી આ સીટ વહેંચણી બાબતે મહાયુતી અને ઠાકરે ભાઈઓએ ઘણી ગુપ્તતા રાખી છે. 23 ડિસેમ્બરથી નોમિનેશન ફોર્મ ભરવાનું શરૂ થતા હવે ઉમેદવારો જાહેર થતા રહેશે અને નારાજ થનારની સંખ્યા વધતી રહેશે. તેથી દરેક પક્ષમાં બળવાખોરી વધવાની શક્યતા છે. અનેક ઉમેદવારો અપક્ષ તરીકે નોમિનેશન ફોર્મ ભરે એવી શક્યતા છે. ટિકિટ જાહેર થયા બાદ પક્ષાંતર કરનારની સંખ્યા પણ વધશે. જો કે પહેલાં જ મિત્રપક્ષ માટે સીટ છોડવી પડશે તેથી આ વખતે ટિકિટ મેળવવી અનેક કાર્યકર્તાઓ માટે મુશ્કેલ રહેશે. તેમ જ પક્ષાંતર કરીને આવેલા ઉમેદવારોને પણ ઈચ્છિત વોર્ડ આપવા પડશે. ગઈ ચૂંટણીમાં 1142 અપક્ષ2017ની ચૂંટણીમાં 11 વિવિધ પક્ષ અને 1142 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. એમાંથી 5 અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે પણ સંખ્યા ઘણી વધુ હોવાની શક્યતા છે. ચાર મુખ્ય પક્ષના નારાજ ઈચ્છુકો સાથે જ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં અપક્ષ તરીકે ચૂંટણી લડે એવી શક્યતા છે. 30 ડિસેમ્બર સુધી નોમિનેશન ફોર્મ ભરી શકાશે અને 2 જાન્યુઆરીના ફોર્મ પાછું ખેંચવાની અંતિમ મુદત છે. તેથી 2 જાન્યુઆરી પછી ચિત્ર સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:05 am