એલસીબીએ 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:ભિલોડાના મૂળીયાટીંબા નજીકથી 44હજારના દારૂ સાથે શખ્સ ઝબ્બે
ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના મૂળિયા ટીંબાની સીમમાંથી પસાર થઈ રહેલી ગાડીમાંથી એલસીબીએ 44600ના દારૂ જપ્ત કરી ઈડર પાસેના ગામના ચાલકની અટકાયત કરી હતી. અરવલ્લી એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલાની આગેવાનીમાં એલસીબી ટીમ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન જેશીંગપુરથી મૂળીયા ટીંબા ગામ તરફ રોડ ઉપર જતાં સ્ટાફને ખાનગી માહિતી મળી હતી કે ગાડીનં.GJ.09.BH.5449 નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી ભિલોડાના મૂળીયાટીંબા ગામ તરફ આવનાર હોવાની માહિતીના આધારે એલસીબીએ વોચ ગોઠવીને ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. એલસીબીએ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બિયરના નંગ 79 મળ્યા હતા. પોલીસે રૂ.44,600નો વિદેશી દારૂનો જથ્થો અને ગાડી સહિત કુલ રૂ.1,45,600 નો મુદ્દામાલ કબજે લઈને ગાડી ચાલક નરેશભાઈ અમરતભાઈ ડામોર રહે.પાંચગામડા તા.ઇડર સામે ગુનો નોંધ્યો હતો.
રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના ખેડૂતો માટે શનિવારે માલપુરમાં “પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન”નું આયોજન કરાયું હતું. બાયડ-માલપુર વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ એન. ઝાલાએ અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવા સંકલ્પ કર્યો હતો. સંમેલનમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન (મલ્ચિંગ), વાફસા અને મિશ્રપાકના ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત રાઠોડ બચુભાઈએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવનાર કૃષિ સખી તથા CRPનું સન્માનપત્ર આપીને સન્માન કરાયું હતું. અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના સફળ અનુભવો જણાવી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા હતા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચે તફાવત શું છે..? હકીકતમાં શું આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા તૈયાર છીએ...? આ બંને પ્રશ્નોનો જવાબ આપણે જાતે મેળવવાનો છે. પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ છે અને રાસાયણિક ખેતીએ જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. આજે પ્રાકૃતિક ખેતી માટે ખાતર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પણ અપાય છે. દેશી ગાય રાખીએ અને તેનાથી પ્રાકૃતિક ખેતી સરળ બને છે. પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી માટે સ્વસ્થ જમીન અને સ્વસ્થ ખોરાકની ખાતરી આપે છે. સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પૂર્ણ પણે પ્રતિબદ્ધ છે અને ખેડૂતોને તેના તમામ લાભો મળે તે માટે દરેક પ્રયાસ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ હાજર હતા.
દારૂ ઝડપાયો:અરવલ્લી એલસીબીએ ગડાદરમાંથી 2.50 લાખનો દારૂનો જથ્થો પકડ્યો
ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગડાદરની સીમમાંથી અરવલ્લી એલસીબીએ બાતમી આધારે ગાડીમાંથી 2.50 લાખનો દારૂ ઝડપ્યો હતો. જોકે પોલીસે ગાડી રોકવાની કોશિશ કરતાં ગાડી ચાલક અને અન્ય શખ્સ ભાગી ગયા હતા. પોલીસે ગાડી અને દારૂ સહિત કુલ 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના શામળાજી હિંમતનગર હાઇવે પરની હોટલ પાસ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શામળાજી તરફથી આવતી ગાડી નં. જીજે વન આર સી 92 44 નો ચાલક તથા અન્ય એક વ્યક્તિ દારૂનો જથ્થો ભરી હિંમતનગર તરફ જવાની બાતમીના આધારે પોલીસે કારને રોકવાની કોશિશ કરતાં બુટલેગરે કારને ભગાડી ગડાદરથી જીવણપુર સિંગલ રોડ પર સાઈડમાં ઉતારી ચાલક તથા અન્ય વ્યક્તિ ભાગી છૂટ્યા હતા. કારમાંથી બિયરના 25 નંગ દારૂના 936 નંગ કિં. 2.50 લાખ તથા 4 લાખની કાર જપ્ત કરી છે.
ઘરફોડ ચોરીનો બનાવ:પ્રાંતિજ શહેરના વ્હોરવાડમાં બંધ મકાનમાંથી 8.40 લાખની તસ્કરી
પ્રાંતિજ શહેરના વ્હોરવાડમાં બંધ મકાનમાંથી ચોરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂ. 8.40 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઇ જતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઇ શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વ્હોરવાડમાં આવેલ નફીસાબાનું અબ્દુલ રજાક પાનવાલા બહાર હતા. તે દરમ્યાન મકાનમાં તા.4.10.25ના રોજ બંધ મકાનમાં પ્રથમ માળે ઘરમાં ઘૂસી ચોરોએ સોના ચાંદીના દાગીના અંદાજે રૂ.7.70 લાખ, રોકડ 70હજાર મળી કુલ રૂ.8.40 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં વ્હોરવાડમાં રહેતા નફીસાબાનું અબ્દુલ રજાક પાનવાલાએ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસ દ્વારા દરોડો:મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો 60 લિટર વોશ જપ્ત, 5ની અટક
મોડાસા શહેર ટાઉન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વોદય ડુંગરી વિસ્તારમાં પોલીસે ઓચિંતી તપાસ ધરી આ વિસ્તારમાં પ્રોહિબિશન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ 14 જેટલા આરોપીઓ સામે ગુના નોંધાયા હતા અને પાંચ આરોપીઓની અટકાયત કરાઇ હતી. ટાઉન પોલીસ દ્વારા બિયરના ટીન અને દેશી દારૂ બનાવવાનો વોશ સહિતનો મુદ્દામાલ કર્યો હતો. મોડાસા શહેરી વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર શખ્સો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને મોડાસા વિભાગના ડીવાયએસપી આરડી ડાભીએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.બી.વાળાની આગેવાની હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ત્રણ ટીમ બનાવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વોદયનગર ડુંગરી ખાતે સરપ્રાઇઝ કોમ્બિંગની અચાનક કામગીરી હાથ ધરાતાં પોલીસનો કાફલો જોઈ દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે ધંધો કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ટાઉન પોલીસે શહેરના સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં પ્રોહિબિશનની કરેલી રેડ દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 14 આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા 14 કેસ દાખલ કર્યા હતા. પોલીસને રેડ દરમિયાન સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાંથી બિયરના ટીન નંગ ત્રણ અને દેશી દારૂ બનાવવાનો વોશ 60 લિટર મળ્યો હતો.
શ્રમિક મહિલાને મારમાર્યો:ગાળો બોલવાની ના પાડતાં મહિલાને હાથમાં દાતરડું માર્યું
વિજાપુરના ખરોડ ગામના એક ખતેર અડધા ભાગે વાવવા રાખેલ હોઇ કપિલાબેન ઠાકોર તેમના પતિ, દીકરી અને ગામની એક મહિલા સાથે સવારે 10 વાગ્યાના અરસામાં રૂ. વેણતા હતા. આ દરમિયાન ગામમાંથી હર્શિતભાઇ પટેલ આવીને ગાળો બોલવા લાગતા તેમને કહેલ કે તમારી મજૂરીના પૈસા ન આપવા હોય તો કંઇ નહી પણ ગાળો બોલશો નહીં. જેથી ઉશ્કેરાઇને હર્ષિતભાઇએ દાતરડું મારતાં કપિલાબેનને અંગુઠામાં ઇજા થઇ. મહિલાના પતિ અને દીકરી આવી જતા તેમની સાથે પર મારામારી કરી હતી. મહિલાની દીકરી જાનકી વચ્ચે પડતા હથેડીમાં દાતરડુ વાગ્યુ હતું. હોબાળો થતા લોકો આવી ગયા હતા. બાદમાં બાઇક પર માતા અને દીકરીને ખરોડ સરકારી દવાખાને લઇ જઇને સારવાર કરાવી હતી. આ અંગે ખરોડના કપિલાબેન બાબુજી ઠાકોર એ લાડોલ પોલીસ સ્ટેશનમાં હર્શિતભાઇ અશ્વીનભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
મોહનપુરમાં સત્સંગ મેળાવડો:જન્મ મરણના ફેરા ટાળવા સત્સંગ છે: પૂ. રામજી બાપા
ભિલોડાના મોહનપુરમાં રવિવારે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી)નો સત્સંગ મેળાવડો યોજાયો હતો. જેમાં પૂજ્ય રામજી બાપાએ સત્સંગ એટલે ભવસાગર તરવાનો માર્ગ હોવાનું જણાવ્યું હતું. મેળાવડામાં અન્ય સંતોએ પણ ઉપસ્થિત રહી પધારેલ મુમુક્ષુઓને આત્માના કલ્યાણ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેસીંગબાપાના બોધ વચનોનું અમૃતપાન કરાવ્યું હતું. પરમ પૂજ્ય શ્રી રામજીબાપાએ દિવ્ય વાણી રેલાવતા જણાવ્યું કે સત્સંગ એટલે ભવ સાગર તરવાનો માર્ગ. ..શરીર એ તો લાકડાની ભારીઓ છે. ..અડીએ તો અભડાવાય એવું છે. શરીરના ભાવે જીવ અનંત કાળથી રખળ્યો છે. માયાના લોભે કરી કર્મ કરે છે ને કર્મ ભોગવવા માટે એકલાએ જવું પડે છે. કોઈ સાથે નહીં આવે ને ચોરાશીના ચક્કરમાં ભટકે છે. ભક્તિ કરવી હોય તો શરીરના ભાવ પાછળ પાડી દેવા પડે ને આત્માને આગળ રાખી વ્યવહાર કરવો પડે તો ભક્તિ થાય શરીર એતો લાકડાની ભરીઓ છે. સત્સંગમાં આવીને જો જીવ માયા સંસારના લોચા અને હલાડા કુટે તો કર્મ બાંધે. સત્સંગમાં બેઠા પછી બાજુમાં કોણ બેઠું છે, એ પણ ભૂલી જવાય તો સત્સંગમાં આવેલું સાર્થક થાય. બધામાં જે બેઠો છે એ તો અજર અમર પરમાત્મા તત્વ છે. જેનાથી બધું સંચાલન થાય છે. આપણે તો આત્માઓ છીએ, પરમાત્માના છીએ, આપણું સાચું ઘર તો પરમાત્મા છે. આ સંસારમાં આપણે બે દિવસ મેમાન આવ્યા છીએ. સમતા ભાવે વ્યવહાર પતાવી હાચા ઘેર જવાનું છે. આ સત્સંગ એ ભવ સાગર તરવા માટે છે ,બીજા કોઈ કામ માટે નથી. મનુષ્ય અવતાર મળ્યો અને જો ભવચક્ર નો એક્કે આંટો ઓછો ના થાય તો સત્સંગ ને મેળાવડા ક્યાં કર્યા? એ વિચાર કરવા જેવો છે. સત્સંગ માં ગયા પછી કેટલી સ્થિરતા આવી, શાંતિ આવી, રાગ - કશાયથી મૂકાયો કે કેમ? એ આગળ ના સત્પુરુષો ના બોધ વચાન નો આશરો લઈ તપાસી જોવુ. વાતો કરવી એ સત્સંગ નથી વાતો સાથે વર્તન હોય તો તે બધાને અસર કરે. બાકી તો બધું વાચા જ્ઞાન. એથી કલ્યાણ ના થાય. ખરી ભક્તિ તો દુઃખ માંજ થાય મીરાબાઈ,શબરી બાઈ, નરસિંહ મહેતાને, પાંડવોને જે દુઃખ પડ્યું છે એવું દુઃખ તો આપણને પડ્યું જ નથી. એ બધા એ દુઃખ માગ્યું છે કેમ કે એમને ખબર છે દુઃખ પાછળ સુખ છે. આ દેશ અવર કંટો નથી કોઈને માલુમ, નથી સમજ્યા ત્યાં લગી દુઃખ જનમ જન્મ - મરણ ટાળવા માટે આ સત્સંગ છે. અસંખ્ય માં - બાપ કર્યા છે એ દુઃખ ટાળવા માટે સત્સંગ છે બીજા કોઈ માટે નથી. સત સાધન સમજવા માટેનો આ મંડપ છે. સત સાધન એટલે આત્મા. આપણે બધા આત્માઓ છીએ. પરમાત્માના લોક માંથી આવ્યા છીએ. જેમાંથી છૂટા પડ્યા છીએ.
રેલીનું આયોજન:હોમગાર્ડના 78મા સ્થાપના દિવસ નિમિત્તે રેલી નીકળી
હિંમતનગરમાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રેલી હોમવાર્ડ કચેરીથી શરૂ કરી જૂની સિવિલ સર્કલ, નગરપાલિકા સદન, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ થઇને સબજેલ ખાતે સમાપ્ત થઇ હતી. રેલીમાં પાણી બચાવો, વ્યસન મુકત, સ્વચ્છતા રાખો, હોમાગાર્ડ સેવા સુરક્ષા શક્તિ જેવા પ્લેકાર્ડ અને બેનરો સાથે યોજાઇ હતી. હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ દ્વારા સિવિલ સર્કલે આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ રેલીમાં હોમગાર્ડ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ 17 હોમગાર્ડ યુનિટ કાર્યરત છે. જેમાં 17 માનદ અધિકારીઓ, 1238 હોમગાર્ડ જવાનો છે.જેમાં 115 મહિલાઓ અને 1123 પુરુષોનો સમાવેશ થાય છે.
હિંમતનગર આરટીઓ બાયપાસ પર MHK માર્ટની પાછળ પરબડા વિસ્તારમાં દાવતે ઇસ્લામી– ઈન્ડિયા દ્વારા બે દિવસીય ધાર્મિક ઈજતેમાનું આયોજન કરાયું હતું. ઈજતેમાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ, સંસ્કારોનું સિંચન અને સમાજમાંથી વધતી બુરાઈઓનો અંત લાવવાનો હતો. કાર્યક્રમ શનિવાર સવારે 10 વાગે પ્રારંભ થયો હતો. રવિવારે મગરીબ બાદ ખાસ દુઆ સાથે સમાપન પામ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. દાવતે ઇસ્લામીના ઉલ્માઓ અને વઝીરો દ્વારા જુદા જુદા વિષયો ઉપર અસરકારક પ્રવચનો અપાયા હતા. પ્રવચનો દરમ્યાન ખાસ ભાર મૂકાયો કે લગ્ન પ્રસંગોમાં થતો ખોટો ખર્ચ, દહેજ પ્રથા, દેખાવ અને ખોટી રીત-રિવાજો પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને સામાજિક તથા ધાર્મિક મૂલ્યોને અનુસરી સરળતાથી અને સુન્નત પ્રમાણે લગ્ન કરવાના છે. તેમજ વ્યસન મુક્તિ, નૈતિક મૂલ્યો અને સદાચાર અપનાવવાની અગત્યતા અંગે લોકોમાં જાગૃતિ લવાઇ હતી. ઈજતેમાના અંતિમ દિવસે મગરીબની નમાજ બાદ ખાસ દુઆ માંગવામાં આવી હતી. જેમાં હજારો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સમાજની ભલાઈ, ભાઈચારુ, શાંતિ અને ઈમાનદારીથી જીવન જીવવાની દુઆ માંગી હતી.
સિટી સ્પોર્ટ્સ:મોડાસામાં દિવ્યાંગ ખેલ મહાકુંભમાં 189 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
મોડાસામાં રાષ્ટ્રીય અંધજન મંડળ શાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોડાસામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ રમત-ગમતનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા અને અરવલ્લી સંયુક્ત ઉપક્રમે 189 જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જેમાં સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ અને અલ્પદ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ સ્પેશિયલ મહા કુંભમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજન મંડળ સાબરકાંઠા અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ખેલાડીઓની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો અને તેમના આત્મવિશ્વાસનો વધારો કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોડાસા કોલેજના પ્રમુખ મહેન્દ્ર શાહ જીવદયાપ્રેમી દિલીપ જોશી રાષ્ટ્રીય અંધજન મંડળના પૂર્વે પંડ્યા અને સંદીપ પટેલ તેમજ સમગ્ર શિક્ષાના અમિતભાઈ કવિ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમના સહયોગીઓ તરીકે સ્પેશિયલ એજ્યુકેટર તમામ હાજર રહ્યા હતા.
મોડાસા-અણિયોર ઉભરાણ રોડ ઉપર આવેલા ખલીકપુર પાસેથી પસાર થતી વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાંથી પાણી લીકેજ થતું હોવાથી ખેડૂતોના શિયાળુ પાકોમાં સતત નહેરનું પાણી ભરાઈ રહેતા ખેડૂતોના પાકોમાં નુકસાન થઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે. સિંચાઈ વિભાગ દ્વારા માલપુરના ખલીકપુર પાસેથી પસાર થઈ રહેલી જમણા કાંઠાની નહેર માંથી લીકેજ થઈ રહેલું પાણી પાકોને નુકસાન પહોંચાડતું હોવાનું અને વેડફાઈ રહ્યું હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક લીકેજ થતું પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે. ખલીકપુરની સીમમાંથી પસાર થતી વાત્રક જળાશયની જમણા કાંઠાની નહેરમાં છેલ્લા કેટલાય સમયથી પાણી લીકેજ થઈ રહ્યું હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે. આ વિસ્તારમાં માત્ર એક જળાશયના પાણીથી ખેડૂતોએ 300 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકોની વાવણી કરી છે. ખલીકપુરમાં ખોડવાળી પલડી તરીકે ઓળખાતા વિસ્તારમાંથી પસાર થતી જમણા કાંઠાની નહેરનું પાણી ભરવાડ જશુભાઈ કાંતિભાઈના ખેતરમાં વારંવાર ભરાઈ જતાં શિયાળુ પાકમાં નુકસાની પહોંચી રહી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. બીજી બાજુ જમણા કાંઠાની નહેરમાંથી નકામું વહી જતું પાણી બંધ કરવામાં આવે તે માટે અગાઉ પણ સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરી હોવાનું ખલીકપુરના ખેડૂતે જણાવ્યું હતું. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે શિયાળુ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં પાણી છોડાતાં મોટી માત્રામાં જળાશયના પાણીથી ઘઉં અને મકાઈ જેવા પાકોની વાવણી કરી છે. પરંતુ નહેરમાંથી થતું લીકેજ પાણી ખેડૂતોના ખેતરમાં સતત ભરાઈ રહેવાના કારણે તેમના વાવણી કરેલ પાકો માં નુકસાની પહોંચી રહી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે ખલીકપુર વિસ્તારમાં નહેરમાંથી લીકેજ થતું પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી ઉઠી છે.
23 તલાટીઓને નોટિસ પાઠવવામાં આવી:મોડાસા તાલુકામાં 40 ટકાથી ઓછી વસૂલાત કરતાં 23 તલાટીઓને નોટિસ
મોડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 40% થી ઓછી વસૂલાત કરતાં 23 તલાટીઓને નોટિસ ફટકારતાં હડકંપ મચી ગયો છે. જ્યારે મોડાસાની નવા વડવાસા ગ્રામ પંચાયતે 75.83 ટકા વેરા વસૂલાત કરી પ્રથમ નંબર હાંસલ કર્યો છે. મોડાસા તાલુકામાં 63 પંચાયતો આવેલી છે. જેમાં પાંચ પંચાયતોએ 50% ઉપરાંત વસૂલાત કરી લીધી છે. મોડાસા તાલુકાની નવા વડવાસા પંચાયત દ્વારા 75.83 ટકા વસૂલાત કરી અવલ નંબર ઉપર રહી છે સબલપુર પંચાયતે માત્ર 8.37 ટકા જ વસૂલાત કરતાં અનેક વિકાસ કાર્યો ઉપર તલવાર લટકી જશે. 63 પંચાયતોનું માંગણું 4,88,68,580 છે ત્યારે વસૂલાત તાલુકામાં 2,20,25,716 રકમ આવી છે. તાલુકાની કુલ 45.07 ટકા વસૂલાત પંચાયતોમાં થઈ હતી. મોડાસા TDO અંજલી ચૌધરી પાસેથી મળેલ વિગતો મુજબ 63 પંચાયતોમાં 40% થી ઓછી વસૂલાત કરતાં 23 તલાટીઓને વસૂલાતને લઈને નોટિસ આપવામાં આવી છે.
પ્રેમ લગ્નના એક દોઢ વર્ષ જૂનાબનાવને લઈને વડાલીમાં રાજપૂતઅને સગર સમાજ વચ્ચે છેલ્લા બે દિવસથી તંગદિલીભર્યો માહોલસર્જાયો છે. શનિવાર અનેરવિવારના રોજ બે જૂથોસામ-સામે આવી જતાં પથ્થરમારોઅને ગાડીઓમાં તોડફોડ કરતાંપંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 6 ટિયર ગેસના શેલછોડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ સગર સમાજે વડાલીપોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધફરિયાદ નોંધાવી હતી. શનિવારે વડાલીનાસગરવાસમાં હિરાભાઈ એકપ્રસંગમાં હાજર હતા. ત્યારે તેમનેશંકરભાઈ કડિયાએ ફોન કરીનેજાણ કરી હતી કે તેમના ઘર પાસેરાજપૂત સમાજના લોકો ઝઘડોકરી રહ્યા છે. ઘરે પહોંચતાહિરાભાઈએ જોયું કે તેમના ઘરસામે રોડ પર બાજુના દરબારફળિયાના 11 લોકો હાજર હતા.જેમાં મંગલસિંહ રામસિંહ રાઠોડઅને પાર્થરાજસિંહ સજ્જનસિંહરાઠોડના હાથમાં લાકડીઓ હતી. આ ટોળાએ હિરાભાઈને ગાળો ભાંડીને જણાવ્યું હતું કે,તમારા દીકરા અજયે અમારી દીકરી ચાંદનીબાને એક વર્ષ પહેલાં લઈ ગયેલ અને સમાધાન બાદ પરત અમને પરત સોંપેલ. જોકે, એક અઠવાડિયા પહેલાં ચાંદનીએ અમારી સાથે ન રહેવાનુંજણાવતાં તેને પોલીસ મારફતે નારીગૃહ મોકલી અપાઈ છે. તેથીતમે ચાંદનીને નારીગૃહ હિંમતનગરથી લઈ આવીનેઅમને સોંપી દો. હિરાભાઈએ આ મામલેપોતાને કોઈ સંબંધ ન હોવાનું અને દીકરી તેમને જાતે લઈ આવવા જણાવતાં ટોળું ઉશ્કેરાઈ ગયું હતું.ઘર સામે પડેલા ઈંટોનાઢગલામાંથી ઈંટો લઈ છૂટી ફેંકીનેઘરની બારીના કાચ, દરવાજો અનેસીસીટીવી કેમેરા તોડી નાખ્યાહતા. વધુ તોફાનની આશંકાએહિરાભાઈએ પોતાના દીકરારમેશભાઈને ફોન કરીને 112નંબર પર પોલીસને બોલાવવાજણાવ્યું હતું. હુમલાખોરોએહિરાભાઇને આજે તમને જીવતાછોડીએ છીએ, પરંતુ જો અમારીદીકરી ચાંદનીને પરત લાવીનેસોંપશો નહીં, તો તમામને જાનથીમારી નાખીશુ તેવી ધમકી આપીનેત્યાંથી જતા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 112વાન અને પોલીસ સ્ટાફનામાણસો તાત્કાલિક ઘટનાસ્થળેઆવી પહોંચ્યા હતા. પોલીસેપરિસ્થિતિ પર કાબૂ મેળવી જરૂરીપોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. શનિવાર: રાજપૂત સમાજ દ્વારા સગર સમાજના વિસ્તારમાં હુમલોદોઢ વર્ષ પૂર્વે રાજપૂત સમાજની યુવતી અને સગર સમાજના યુવકે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે બંનેસમાજે હસ્તક્ષેપ કરીને યુવતીને તેના પિતાના ઘરે મોકલી આપી હતી. જોકે, એક અઠવાડિયા પહેલા આયુવતીએ પિતાના ઘરે રહેવાનો ઇનકાર કરતાં તેને પોલીસ મારફતે હિંમતનગરના નારી ગૃહમાં મોકલીઅપાઇ હતી. આ મામલાને લઈને શનિવારના રોજ રાજપૂત સમાજના લોકોએ સગર સમાજના વિસ્તારમાંપથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં સગર સમાજના મકાનોના બારીના કાચ, સીસીટીવી કેમેરાસહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. રવિવાર: મામલો વધુ બિચક્યો, ટિયર ગેસના 6 શેલ છોડવા પડ્યારવિવારના રોજ સગર સમાજના લોકો સામાજિક કામકાજમાટે એકઠા થયા હતા. આ દરમિયાન વડાલી નગરપાલિકાપાસે રાજપૂત સમાજના એક વ્યક્તિની બાઇક સગરસમાજના એક યુવકની બાઈક સાથે અડકતાં બોલાચાલીથઈ હતી. આ સામાન્ય બોલાચાલીને પગલે મામલોગરમાયો હતો.બોલાચાલીના પગલે સગર સમાજનાલોકોનું ટોળું રાજપૂત સમાજના વિસ્તારમાં પહોંચી ગયું હતુંઅને ધમાલ મચાવી હતી. સામ-સામે થયેલા પથ્થરમારામાંમકાનોના કાચ અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. હાલ પરિસ્થિતિ કાબૂમાં: એસપીએસપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કેવડાલીમાં રાજપૂત સમાજ અને સગર સમાજવચ્ચે ઘર્ષણનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં પ્રેમલગ્ન આ જૂની સમસ્યા દોઢે વર્ષચાલી આવતી હતી. હાલ બંને પક્ષ તરફથીમધ્યસ્થી થઇ છે અને બંને પક્ષનાઆગેવાનોએ તેમના સમાજના યુવાનોનેસમજ અપાઇ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી નવા બનેલા ઓગડ તાલુકાના રૂની ગામે 600 વર્ષ જૂના જૈન દેરાસર આવેલું છે. જેમાં ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના પગલા અને મૂર્તિ બિરાજમાન છે. ગામમાં જૈન પરિવારનું એકપણ ગામ નથી. પરંતુ પોષી દશમના દિવસે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,ગુજરાત સહિતના શહેરોમાંથી દર્શનાર્થે આવે છે. ઓગડ તાલુકાના થરા નજીક રૂની ગામ આવેલું છે.ગામમાં એક પણ જૈન પરિવારનું ઘર નથી પરંતુ 600 વર્ષ પૂર્વે જમીનમાંથી મળેલા ભગવાનના પગલાં અને મૂર્તિ સાથેનું જૂનું ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલું છે. મંદિરના મેનેજર ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે,અહીં દર વર્ષે વૈશાખ સુદ 6 ના ધ્વજારોહણ કરવામાં આવે છે અને માગશર વદ 10 (પોષી દસમ)ના દિવસે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ના દિવસે બપોરે શોભાયાત્રા અને ત્યારબાદ ઝાંપા ચુંદડી માં હજારો લોકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના શહેરોમાંથી દર્શનાર્થે આવે છે. ભદ્રેવાડી ગામના નિવૃત શિક્ષક કિરણભાઈ શાહે ઇતિહાસ વિશે જણાવ્યું હતું કે, પાટણના રાજવંશમાં વિ.સ. 1229માં આચાર્ય હેમચંદ્રસૂરીજીની નિશ્રામાં પ્રતિમાઓની અંજનશલાકા થઈ હતી. પાટણમાં રહેલી પ્રભુની પ્રતિમા બાદમાં મુસ્લીમ સત્તાના જુલમને કારણે ભોયરામાં દાટી દેવામાં આવી. વિ.સ. 1465માં ખોદકામ દરમ્યાન મળી આવી અને ત્યારબાદ યક્ષદેવના સ્વપ્નાદેશ મુજબ તે પ્રતિમા મેઘા શાહને સોંપાઈ, મેઘા શાહ વેપારલાભ બાદ વતન જતાં બનાસ નદી કાંઠે પડાવ કર્યો, જ્યાં પ્રભુના પ્રગટ પ્રભાવી પગલાં દર્શન આપ્યા. બાદમાં પૂર આવતાં દેરી અને પગલાં નદીમાં તણાઈ ગયા. વર્ષો બાદ ભદ્રેવાડી ગામના કિરણકુમાર બાલચંદભાઈ કુરિયાના પૂર્વજોને સ્વપ્નાદેશ મળતાં નિર્દેશિત સ્થળે ખોદકામ કરતા અખંડ પગલાં ફરી પ્રગટ થયા. પગલાં ક્યાં સ્થાપિત કરવાના તે અંગે પાંચ ગામ – અણંદપુરા, રૂની, થરા, ઉણ અને ભદ્રેવાડી – ની ચિઠ્ઠી પ્રક્રિયામાં રૂની પસંદ થયું.વિ.સ. 2005માં આચાર્યદેવ વિજય કુમુદસૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા થઈ હતી.
ડીસાના માલગઢમાં રાજ્યના પ્રથમ મોડેલ તળાવને સુજલામ–સુફલામ હેઠળ નર્મદાના જળથી ભરાવામાં આવ્યું છે.જેના થકી 28થી વધુ ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ મળ્યો છે. શનિવારે રાજ્ય સરકારના મંત્રીઓએ આ મોડેલ તળાવની મુલાકાત લીધી હતી. ડીસા તાલુકાના માલગઢ ગામના મામાનગરમાં રાજ્યના પ્રથમ ખેડૂતલક્ષી મોડેલ તળાવની શનિવારે ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી, દુધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી.સુજલામ–સુફલામ યોજના અંતર્ગત નર્મદાના પવિત્ર જળથી ભરાયેલા આ તળાવને આધારે વિસ્તારમાં સિંચાઈની ક્રાંતિ સર્જાઈ છે. સરકાર દ્વારા તળાવ પરથી સિંચાઈ કરી શકે તે માટે 28થી વધુ વીજ કનેક્શન ખેડૂતોને આપવામાં આવ્યા છે. કે.ટી. માળીએ તળાવની કામગીરી તથા મીની સ્પ્રિંકલર જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિની વિસ્તૃત માહિતી આપી હતી. મંત્રીઓએ આ તમામ મોડેલ સુવિધાઓ નિહાળી ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેમની કામગીરીની પ્રશંસા કરી. આ પ્રસંગે નાયબ કલેક્ટર કિશનદાનભાઈ ગઢવી, મામલતદાર વિપુલભાઈ બારોટ, સરપંચ ગટુબેન સુદેશા સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
વડોદરા ખાતે યોજાયેલ ઓલ ગુજરાત દિવ્યાંગ ખેલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના નાનકડા કોટડા (ભાખર) ગામની દીકરીએ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.તેને ચક્રફેક, બરફી ફેક અને ગોળાફેક એમ ત્રણેય સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વડોદરા ખાતે 4થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલી ઓલ ગુજરાત સપોર્ટ દિવ્યાંગ (મૂક–બધિર) ખેલાડીઓની ટુર્નામેન્ટમાં દાંતીવાડા તાલુકાના કોટડા (ભાખર) ગામની હર્ષા ચૌધરીએ ઉત્તમ પ્રદર્શન કરતાં રાજ્યસ્તરે પોતાની અનોખી ઓળખ બનાવી છે. મુક–બધિર કેટેગરીમાં યોજાયેલી ચક્રફેક, બરફી ફેક અને ગોળાફેક એમ ત્રણેય સ્પર્ધાઓમાં હર્ષાએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાજ્યભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે સતત સ્થિરતા, મજબૂત ટેકનિક અને આત્મવિશ્વાસ સાથે હર્ષાએ દેખાડેલા દમદાર પ્રદર્શનથી સમગ્ર ટુર્નામેન્ટમાં તેમના નામે ચર્ચા થઈ હતી. જન્મથી જ મુક–બધિર હોવા છતાં હર્ષા ચૌધરીએ પોતાની પરિસ્થિતિને ક્યારેય અવરોધ બનવા દીધું નથી. સતત મહેનત, યોગ્ય તાલીમ અને પરિવારના સહયોગથી તેમણે રમતક્ષેત્રમાં પ્રગતિના નવા મોરચા સર કર્યા છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ કરીને યોજાયેલી આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં તેમનું પ્રેરણાદાયી પ્રદર્શન હતું. હર્ષાની સિદ્ધિથી બનાસકાંઠા જિલ્લાના ખેલ ક્ષેત્રમાં ખુશીની લાગણી છવાઈ છે. કોટડા (ભાખર) ગામની દીકરીએ એકસાથે ત્રણ ગોલ્ડ મેડલ જીતતા ગામમાં, જિલ્લા ખેલપ્રેમીઓમાં તેમજ ચૌધરી સમાજમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ગ્રામજનો અને સ્થાનિક સંસ્થાઓએ હર્ષોના સન્માનમાં શુભેચ્છાઓ પાઠવી તેમની સફળતાને સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક ગણાવી છે. હર્ષા ચૌધરીનું આ પ્રદર્શન માત્ર મેડલ જીતવાથી વધુ છે, દિવ્યાંગ યુવતીઓ માટે આત્મવિશ્વાસ, સંકલ્પ અને સતત પ્રયાસની શક્તિનું જીવંત ઉદાહરણ છે.આ સિદ્ધિને બિરદાવી હતી.
કાર્યવાહી:27.25 લાખની ઠગાઈ કેસના 2 આરોપી 3 દિવસ રિમાન્ડ પર
પાટણના ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરી રૂ.27.25 લાખ પડાવનાર બે આરોપી પરેશ પટેલ અને ઝાકીરહુસેન મેમણને બાલીસણા પોલીસે ઝડપી લીધા હતા. બંનેને પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી 9 ડિસેમ્બર સુધીનો પોલીસ રિમાન્ડ મેળવ્યો હતો. આ પોલીસ અનુસાર, મહિલાના એકાંતનો લાભ લઈ આરોપીઓએ તેનું શોષણ કર્યું અને ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. આ રકમ ક્યાં વપરાઈ, ફરિયાદીના ચેક આરોપીઓ પાસે કેવી રીતે પહોંચ્યા અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
મંડે પોઝિટીવ:ભીખ નહીં,ભણવા જઈએના સંકલ્પથી આદિવાસીદીકરી શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ ફેલાવશે
ભીખ નહીં, ભણવા જઈએ’ના સંકલ્પથી આદિવાસી દીકરીઓને નવો મંચ મળ્યો છે. જેના થકી આ દીકરીઓ પગભર બનશે. સંગીત દ્વારા લિંગ સમાનતા, શિક્ષણ, સ્વરાજ્ય અને સશક્તિકરણનો સંદેશ ફેલાવશે. અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા સંસ્થાન કેન્દ્ર દ્વારા રવિવારે શ્રી શક્તિ આદિવાસી ગર્લ્સ પાઇપર બેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા સંસ્થાન કેન્દ્ર દ્વારા અગાઉ આદિવાસી સમાજના બાળકોના બેન્ડની રચના કરવામાં અવી હતી. દીકરીઓ માટેના પાઇપર બેન્ડની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે સંસ્થાના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલે જણાવ્યું હતુ કે, આ બાલિકાઓ અગાઉ ગબ્બર પર્વત પર ડુંગરીયાળ વિસ્તારમાં ભીખ માંગતી હતી. સંસ્થાએ ભીખ નહીં, ભણવા જઈએ ના સંકલ્પ સાથે ભગીરથ કાર્ય કરીને આ દીકરીના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી તેમને સશક્ત બનાવ્યા છે. બેન્ડનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી દીકરીઓને સશક્ત બનાવીને તેમની પ્રતિભાને મંચ આપવાનો છે. આ બેન્ડ સંગીત દ્વારા લિંગ સમાનતા, શિક્ષણ, સ્વરાજ્ય અને સશક્તિકરણનો સંદેશ ફેલાવશે. જેની પાછળ છેલ્લા 16 વર્ષની અથાગ મહેનત અને પ્રેરણા રહેલી છે. બેન્ડનો પ્રારંભ મંત્રી પ્રવિણ માળી અને પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરાયો હતો. 50 દીકરીઓને લશ્કર, પોલીસના બેન્ડમાં જવાની તકબનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ રચના કરવામાં આવેલા દીકરીઓના બેન્ડમાં અંબાજી વિસ્તારના આદિવાસી પરિવારની 50 દીકરીઓને સામેલ કરવામાં આવી છે. જેઓ બેન્ડ થકી ભવિષ્યમાં લશ્કર, પોલીસના બેન્ડમાં સામેલ થઇ શકશે. આ ઉપરાંત ખાનગી સંસ્થાઓના કાર્યક્રમોમાં બેન્ડ વગાડી પગભર થઇ રહી છે. આ દીકરીઓ બ્યુગલ, બેગ પાઇપર, સેક્સોફોન, ડ્રમ સેટ સહિતના વાંત્રિજો વગાડી રહી છે. જિલ્લા કક્ષાની બેન્ડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું દીકરીઓના બેન્ડે જિલ્લા કક્ષાની બેન્ડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમજ ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની 7 જિલ્લાઓની સ્પર્ધામાં 11 ટીમો વચ્ચે ભાગ લઈને બીજું સ્થાન મેળવીને ચેમ્પિયન બન્યું છે.આ ઉપરાંત, સંસ્થાના છોકરાઓના બેગપાઇપર બેન્ડે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સફળતાપૂર્વક પર્ફોર્મન્સ આપ્યું હતું.
વાતાવરણ:14 ડિગ્રી સાથે શહેરમાં ઠંડીનો ચમકારો, 10મી પછી ઝાકળવર્ષાનો રાઉન્ડ આવશે
થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં દિતવાહ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઠંડી ગાયબ થઇ ગઈ હતી. ફરીથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થઇ ગયા છે. રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 62 ટકા આપસાસ રહ્યું હતું. દિવસ દરમિયાન પવનની ઝડપ પણ 3થી 6 કિલોમીટર પ્રતિકલાકની રહી હતી. રાજકોટમાં હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવા છતાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી વધુ છે. લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ઓછું રહ્યું હતું. એટલે કે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો યથાવત્ છે. ઝાકળવર્ષાની સૌથી વધુ અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશેશિયાળાની શરૂઆતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ઝાકળવર્ષાનો રાઉન્ડ આવ્યો એ પણ સીમિત સમય માટે રહ્યો હતો. 10 ડિસેમ્બર પછીથી ફરીથી એક મોટો ઝાકળવર્ષાનો રાઉન્ડ આવી શકે છે જે ત્રણથી ચાર દિવસનો રહેશે. સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, વિઝિબિલિટી ડાઉન થઇ શકે છે. ઝાકળનો આ રાઉન્ડ પણ રાજ્યમાં બધા વિસ્તારોમાં નહીં આવે માત્ર સીમિત વિસ્તારોમાં આવશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આ ઝાકળવર્ષાની અસર સૌથી વધુ રહેવાની સંભાવના છે. - પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, એક્સપર્ટ
સેવાની સફર:બાળકો શાળાએ જતા થાય તે માટે પ્રોફેસરે સાઇકલ રિપેર કરાવી 650થી વધુને આપી ખુશીની સવારી
રાજકોટના એક પ્રોફેસરે જૂની સાઇકલને જીવન બદલાવનારા સાધન તરીકે ઉપયોગમાં લઇ એક અનોખું માનવતાભર્યું અભિયાન શરૂ કર્યું છે. શહેરની માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજના અધ્યાપક મીનુ જસદણવાલાએ છેલ્લા ત્રણ વર્ષથી અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અથવા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો શાળાએ જતા નથી. જેમાં એક તો શાળાની ફી ચૂકવી શકે તેમ ન હોય અને જે બાળકો સરકારી શાળામાં જાય છે તેઓને આવવા-જવા માટે ખર્ચ થાય છે. તેથી એક સમયે વિચાર આવ્યો કે જો આવા બાળકોને પ્રોત્સાહિત કરી એક સાઇકલ આપવામાં આવે તો તે અક્ષર જ્ઞાન લઈ શકે. જેમાં જે લોકોની પાસે જૂની, ન વાપરવામાં આવતી સાઇકલ આપે તેને જરૂરી રિપેરિંગ કરાવી અને જરૂરિયાતમંદ બાળકોને સાઇકલ ભેટ આપવામાં આવે છે. આ અભિયાનનું નામ મીનુ’ઝ-1000 છે એટલે કે, આગામી એક વર્ષ સુધીમાં 1000 જરૂરિયાતમંદ બાળકોને સાઇકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે. જેમાં અત્યાર સુધીમાં 650થી પણ વધુ સાઇકલ અપાઈ ચૂકી છે. અત્યારનું પ્રદૂષણ, ખર્ચાળ ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટેશનના અભાવે ક્યારેક ભણતર પણ મૂકી દેવું સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અધ્યાપકને આ અભિયાન શરૂ કરવાની પ્રેરણા મળી. દોઢ દિવસમાં એક બાળકને સાઇકલ આપવામાં આવે છે. આ ઉપરાંત સાઇકલના ઉપયોગથી બાળકનું તંદુરસ્ત પણ સારું રહે છે, અધ્યાપક પોતે પણ કોલેજે જવા સાઇકલનો ઉપયોગ કરે છે. નાનકડી ક્ષમતા મુજબ આભાર વ્યક્ત કર્યોએક વખત એક જરૂરિયાતમંદ બાળકીને સાઇકલ આપવામાં આવી. સાઇકલ લઈને અધ્યાપક પાસે એક થેલો મુક્યો. તે બાળકી સાઇકલની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માટે વાડીમાંથી લીંબુ તોડી અધ્યાપક માટે ભેટ સ્વરૂપે લાવી હતી. પોતાની નાનકડી ક્ષમતા મુજબ આભાર વ્યક્ત કર્યો. બીજી તરફ આ નાનકડી ભેટ પાછળ છુપાયેલા નિષ્કપટ પ્રેમે પ્રોફેસરના હૃદયને સ્પર્શી લીધું.
આજના ‘ટેક્નોસેવી’ યુગમાં જો મોબાઈલ કે હાથમાં સ્માર્ટવોચ ન હોય તો તારીખ કે સમય જાણવો લગભગ અશક્ય બની જાય છે, પરંતુ રાજકોટમાં એક એવી પેઢી તૈયાર થઈ રહી છે જે આકાશ તરફ માત્ર એક નજર નાખીને કહી દેશે કે આજે કઈ તિથિ છે અને અત્યારે કેટલો સમય થયો છે. રાજકોટનું રીજનલ સાયન્સ સેન્ટર બાળકોને એક એવી અનોખી પ્રવૃત્તિ કરાવી રહ્યું છે, જેમાં ભારતીય પંચાંગ અને ખગોળ વિજ્ઞાનનો અદભુત સંગમ જોવા મળે છે. અહીં આવતા બાળકો હવે ‘હ્યુમન કેલેન્ડર’ બની રહ્યા છે. રાજકોટના રીજનલ સાયન્સ સેન્ટર દ્વારા ચલાવવામાં આવતો આ એક અનોખો ‘ખગોળ વિજ્ઞાન’ કાર્યક્રમ છે. આજથી હજારો વર્ષ પૂર્વે ઋષિમુનિઓએ કોઈપણ ટેલિસ્કોપ વિના કરેલી આ ગણતરીઓ આજે આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ 100% સાચી ઠરે છે. રાજકોટ સાયન્સ સેન્ટર આ જ પ્રાચીન જ્ઞાન વારસાને આજની નવી પેઢી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. આ કાર્યક્રમ બાળકોને ભારતીય પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક નિરીક્ષણ પદ્ધતિનો સુમેળ સાધતા શીખવે છે. સાયન્સ સેન્ટરમાં આવનાર દરેક બાળકોને દરરોજ સાંજે નિષ્ણાત ખગોળ વિજ્ઞાનના પાઠ શીખવે છે જેમાં દર મહિનાની આઠમથી પૂનમ સુધી દરરોજ સાંજે ટેલિસ્કોપ દ્વારા આકાશદર્શન અને ભારતીય કેલેન્ડર પાછળના ખગોળ વિજ્ઞાનથી અવગત કરાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ રીતે શીખો : અવકાશનું ગણિત શીખવું ABCD જેટલું જ સરળ છે, નિરીક્ષણ જરૂરી આકાશને વાંચતા શીખવું પડે : માત્ર આકાશ જોઈને સમય અને તિથિ જાણવી એ કોઈ જાદુ નથી પણ શુદ્ધ ગણિત છે. જેમ આપણે ABCD શીખ્યા બાદ સ્પેલિંગ બનાવતા શીખીએ છીએ, તેમ આકાશને વાંચતા શીખવું પડે છે. કેવી રીતે શીખી શકાય? : આ માટે વિદ્યાર્થીએ પોતાના ઘરની અગાશી પર એક ચોક્કસ જગ્યા અને એક ચોક્કસ સમય (દા.ત. સાંજે 7 કે 8 વાગ્યે) નક્કી કરવો પડે. 15 દિવસની પ્રેક્ટિસ : સતત 15 દિવસ સુધી ચંદ્ર અને ગ્રહોનું સ્થાન બદલાય તેનું બારિકાઈથી નિરીક્ષણ કરવું પડે. ચંદ્ર કઈ દિશામાં અને કેટલા અંતરે ખસે છે તેની નોંધ રાખવી પડે. સપ્તર્ષિ તારા જૂથની પોઝિશન જોવી પડે. પરિણામ : થોડી પ્રેક્ટિસ બાદ તમે ચંદ્ર જોઈને જ કહી શકો કે આજે સાતમ છે કે આઠમ. બપોરે સૂર્યના પડછાયા પરથી અને રાત્રે ગ્રહોની સ્થિતિ પરથી સચોટ સમય જાણી શકાય છે.
ભાસ્કર એક્સક્લુસિવ:રાજ્યના તમામ જિલ્લામાં સર'ની સૌથી ઝડપી કામગીરી ડાંગમાં
સરની કામગીરીમાં શરૂઆતથી હાલ સુધી ડાંગ જિલ્લો રાજ્યમાં પ્રથમ રહ્યો છે. સૌથી વધુ 94 ટકાથી વધુ મતદારોના ફોર્મ મેળવી ડિજિટલાઈઝ કરી દેવામાં આવ્યા છે. ખાસ સઘન મતદાર યાદી સુધારણા (સર)ની ઝુંબેશ રાજ્યમાં છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહી છે, જેમાં મતદારોના ફોર્મ મેળવી ડિજિટલાઈઝ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં જે કુલ 2.01 લાખ મતદારો છે તેમાંથી 1.90 લાખ મતદારોના ફોર્મ આવી ડિજિટલાઈઝ પણ થઈ ગયા છે, જે રાજ્યમાં સૌથી વધુ 94.45 ટકા છે. ડિજિટલાઈઝ થયેલ ફોર્મ તથા એક યા બીજા કારણે નહી આવેલ 5.55 ટકા મતદારોના ફોર્મ સાથે 100 ટકા કામગીરી પણ સૌથી પ્રથમ આજ જિલ્લામાં થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે મતદારોની દ્રષ્ટિએ ડાંગ રાજ્યનો સૌથી નાનો જિલ્લો હોય અને એક જ વિધાનસભા બેઠક હોય અહીં ઝડપી કામ થયાનું જણાવાઈ રહ્યું છે. હજુ તો સરની કામગીરી 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની હોય વધુ ફોર્મ જિલ્લામાં ડિજિટલાઇઝ થઇ શકે છે. 3908 મતદારો મૃતક, 5552 સ્થળાંતરિતઅન્ય જિલ્લાની જેમ અહીં ઘણા મતદારોના ફોર્મ પરત આવ્યા નથી. કુલ 11220 મતદારોના ફોર્મ મળ્યા નથી. જેમાં 3908 મૃત તથા 5552 સ્થળાંતરિત જણાયા છે. ઉપરાંત 1178નો પત્તો મળ્યો નથી અને 520 જેટલા ડુપ્લીકેટ જણાયા છે. 8.91%નું મેપીંગ નહીંડાંગ જિલ્લામાં જે મતદારો છે તેમાં 17,969 મતદારોનું 2002 ની મતદાર યાદી સાથે મેપીંગ થયું નથી. જે કુલ મતદારોના 8.91 ટકા થાય છે.
કિંજલ દવેની સગાઈના INSIDE PICS:બે દિવસ ચાલી એંગેજમેન્ટ સેરેમની, આમિર મીરની મહેફીલે જમાવટ કરી દીધી
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવીન શાહ સાથે સગાઈ કરીને તેમના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ગાયિકાએ ખૂબ જ સાદાઈથી અને પરિવારજનોની હાજરીમાં આ વિધિ સંપન્ન કરી હતી, જેની સુંદર તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમજ અંદરના વીડિયો પણ સામે આવ્યા છે. બે દિવસ સુધી ચાલી એંગેજમેન્ટ સેરેમની5 ડિસેમ્બરા, 2025ના રોજ રાત્રે કિંજલ દવેની મહેંદી અને આમિર મીરની મહેફીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારા અને અંગત સંબંધીઓ જ હાજર રહ્યા હતા. ત્યારબાદ 6 ડિસેમ્બરના રોજ સવારે કિંજલ દવે અને ધ્રુવીન શાહ ની સગાઈ કરવામાં આવી હતી. અને 6 ડિસેમ્બર સાંજના સમયે એંગેજમેન્ટ નું રિસેપ્શન કહો કે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસના પ્રસંગમાં સંગીતની દુનિયાના સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા. સાદાઈ અને પારિવારિક માહોલમાં સગાઈકિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈની વિધિ કોઈ ભવ્ય સમારંભના બદલે ખૂબ જ સાદાઈ અને અંગત માહોલમાં યોજાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમારોહમાં માત્ર બંને પરિવારોના નજીકના સભ્યો અને અત્યંત અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલે પોતાના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત ધામધૂમથી દૂર, પ્રેમ અને આશીર્વાદના વાતાવરણમાં કરવાનું પસંદ કર્યું હતું. સગાઈની વિધિ પૂર્ણ થયા પછી કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આ ખુશખબરની જાહેરાત કરી હતી. ચાહકો માટે, જેમણે આ સુંદર ક્ષણો લાઈવ જોવાનું ચૂકી ગયા છે, તેમના માટે કિંજલે સગાઈ સમારોહનો ખાસ આલ્બમ પણ શેર કર્યો છે. આ તસવીરોમાં કિંજલ અને ધ્રુવીનનો ખુશીથી છલકાતો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેણે ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે. ધ્રુવીન શાહ એક્ટર અને બિઝનેસમેનકિંજલ દવેના ભાવિ જીવનસાથી ધ્રુવીન શાહની વાત કરીએ તો, તે માત્ર એક સફળ બિઝનેસમેન જ નહીં, પરંતુ એક અભિનેતા પણ છે. ધ્રુવીન શાહ અગાઉ પણ કિંજલ દવે સાથે કેટલાક પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા હતા. આ જોડીને સગાઈના બંધનમાં બંધાતી જોઈને તેમના લાખો ચાહકોએ શુભકામનાઓ પાઠવી છે. આ સગાઈ ગુજરાતના મનોરંજન જગત માટે એક મોટો પ્રસંગ બની રહી છે, અને ચાહકો હવે આ લોકપ્રિય જોડીના લગ્ન ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. કિંજલના પિતા હીરાઘસુ હતા કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.
માત્ર 11 દિવસની નવજાત બાળકીનો હાથ ગેંગરીનથી કાળો પડી જતાં મહેસાણાના વિજાપુરનો પરિવાર અસમંજસમાં મૂકાયો છે. પરિવારે વિસનગરની પાર્થ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, અહીંના ડૉક્ટરની સારવારમાં બેદરકારીના કારણે મારી દીકરીનો હાથ કાળો પડ્યો છે, તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરો અને અમને ન્યાય અપાવો. આ આક્ષેપ અંગે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ડૉક્ટરનો સંપર્ક કરતા પછી જવાબ આપવા કહ્યું. “બાળકીનો હાથ કાળો પડી ગયો છે, તમે અહીંથી લઈ જાઓ”મહેસાણા જિલ્લાના વિસનગરની પાર્થ હોસ્પિટલમાં માત્ર 11 દિવસની નવજાત બાળકીનો હાથ ગેંગરીનથી કાળો પડી જતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકીના પિતા અંકિત રાવળે જણાવ્યું કે, 25 નવેમ્બરે મારી પત્નીને કાશીબા હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ત્યાં સિઝેરિયન કરીને ડિલિવરી કરાવી હતી. મારી દીકરીનું વજન માત્ર 1.3 કિલો હોવાથી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ પાર્થ હોસ્પિટલમાં બાળકીને 7 દિવસ માટે ઇન્ક્યુબેટર (પેટી)માં રાખવામાં આવી હતી અને રોજ ઇન્જેક્શન-દવા આપવામાં આવતા હતા પરંતુ, સાતમા દિવસે હોસ્પિટલ તરફથી ફોન આવ્યો કે, “બાળકીનો હાથ કાળો પડી ગયો છે, તમે અહીંથી લઈ જાઓ.” “માતા, ફોઈ કે દાદીએ હાથ દબાવ્યો હશે એટલે આવું થયું”વધુમાં તેઓએ જણાવ્યું કે, બાળકીનો હાથ કાળો પડતાં પાર્થ હોસ્પિટલના ડોક્ટરને પૂછ્યું તો જવાબ મળ્યો કે, “માતા, ફોઈ કે દાદીએ હાથ દબાવ્યો હશે એટલે આવું થયું”. ઇમરજન્સી જોઈને પરિવારે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ ગેંગરીન જાહેર કરી હાથ કપાવવાની સલાહ આપી. હાથ કપાવવા તૈયાર ન થતાં પરિવારે આજે બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાં ડોક્ટરોએ 50 ટકા રિકવરીની આશા આપી છે. આવા ડોક્ટર સામે પગલાં લેવા જોઈએ, હોસ્પિટલે એક જ કાગળ આપ્યો છે, કઈ દવા આપી કે કયા રિપોર્ટ કર્યા એની કોઈ માહિતી આપી નથી. અમારી એક જ માંગ છે – અમારી બાળકી સાજી થઈ જાય. ડોક્ટરની ભૂલના કારણે જ આજે અમારી બાળકીને ગેંગરીન થઈ ગયું બાળકીની ફૂઈ સુહાની રાવળે ભાવુક થઈને જણાવ્યું કે, “ભાભીને કાશીબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં ઓપરેશન કરીને ડિલિવરી કરાવી. તરત જ બાળકીને વજન ઓછું હોવાથી પાર્થ હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવી. પાંચ દિવસ સારવાર ચાલી અને રોજ સોઈ લગાવવામાં આવી. એ જ સોઈની ભૂલથી બાળકીનો હાથ કાળો પડી ગયો છે. ડોક્ટરની ભૂલના કારણે જ આજે અમારી 11 દિવસની નાનકડી બાળકીને ગેંગરીન થઈ ગયું છે. અમે બાળકીનો હાથ કપાવવા તૈયાર નથી – એ અમારી એક જ માંગ છે.” બાળકીને આજે સવા બાર વાગ્યે અમારી હોસ્પિટલમાં દાખલ કરાઈવડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હર્ષિત પટેલે જણાવ્યું કે, “આજે સવા બાર વાગ્યાની આસપાસ વિસનગરની એક ખાનગી હોસ્પિટલમાંથી ડિલિવરી થયા બાદ 11 દિવસની નવજાત બાળકી અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના એક હાથનો ભાગ એકદમ કાળો પડી ગયો છે. પ્રાથમિક તપાસમાં ગેંગરીનની શક્યતા લાગી રહી છે. આ સ્થિતિમાં હાથના છેવાડાના ભાગમાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય ત્યારે આવું થાય છે. અમે પીડિયાટ્રિક સર્જનનો અભિપ્રાય લેવા માગ્યો હતો, પરંતુ અમારી હોસ્પિટલમાં રેગ્યુલર પીડિયાટ્રિક સર્જન ઉપલબ્ધ નથી. તેથી RBSK ટીમ દ્વારા બાળકીને વધુ મોટી હોસ્પિટલમાં રિફર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આ અંગે વાત થઈ છે.” “હું હાલ બહાર છું, તમને પછી જવાબ આપીશ” આ સમગ્ર ઘટના અંગે વિસનગરની પાર્થ હોસ્પિટલના ડૉ. પાર્થને વધુ વિગતો જાણવા સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે ભાસ્કરને જણાવ્યું, “હું હાલ બહાર છું, તમને પછી જવાબ આપીશ” એમ કહી ફોન કાપી નાખ્યો હતો.
Goa Night Club Fire : ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં શનિવાર-રવિવારની વચલી રાત્રે લાગેલી ભીષણ આગની ઘટનામાં 25 લોકોનાં મોત થવાની ઘટનામાં ક્લબના માલિકો પર એફઆઈઆર નોંધવા ઉપરાંત ચાર મોટા અધિકારીઓની ધરપકડ કરી છે. ફટાકડાના કારણે આગ લાગી : મુખ્યમંત્રી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી.
ગુજરાત ATSની અને રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રાજસ્થાન જોધપુર જિલ્લાના સોઇંત્રા ગામની સીમમાં ચાલતી MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડી 40 કીલો MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. આ ફેક્ટરી ચલાવતા છ યુવાનોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે.જોકે, તપાસમાં ઇન્ટરનેશનલ રેકેટ પણ સામે આવે એવી સંભાવના છે. ગુજરાત ATSના ચોપડે નોંધાયેલા ડ્રગ્સના એક કેસમાં વોન્ટેડ આરોપી મોનુને ઝડપી લેવા માટે ATSની ટીમ રાજસ્થાન જોધપુર ગઇ હતી. પોલીસ પહોંચી તો ખેતરમાં તેનું પ્રોપર લોકેશન મળ્યું ગુજરાત ATS દ્વારા 38 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું હતું. ડ્રગ્સ કેસની તપાસમાં એક આરોપી મોનુ વોન્ટેડ હતો.જેને પગલે ATSના અધિકારીઓ મોનુ પર સર્વેલન્સ રાખીને બેઠા હતા, તેના માટેની બાતમીઓ પણ એકત્રિત કરી રહ્ય હતા.SP શંકર ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે, મોનુ હાલ રાજસ્થાન જોધપુર આજુબાજુ ફરી રહ્યો છે. જોધપુર ગ્રામ્યની હદમાં આવેલા સોઇંત્રા ગામમાં મોનુનું લોકેશન મળ્યું હતું. જેને લઇને ATSની જુદી-જુદી ટીમ જોધપુર પહોંચી હતી. જ્યાં સોઇંત્રા ગામમાં મોનુંને પકડવા માટે પોલીસ પહોંચી તો એક ખેતરમાં તેનું પ્રોપર લોકેશન મળ્યું હતુ. ખેતરની વચ્ચે એમ ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતીપોલીસ ખેતરમાં પહોચી તો શેડ નાંખીને એક ફેકટરી બનાવવામાં આવેલી નજરે પડતી હતી. જ્યાં ત્રાટકીને પોલીસે મોનું તો ઝડપી લીધો પરંતુ ત્યાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી. જેને પગલે ATS દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઇ મોનું સહિત કુલ 6 આરોપીઓને ઝડપી લઇ ફેકટરીમાંથી 40 કીલો લિક્વીડ એમ.ડી. ડ્રગ્સ ઝડપી લીધું હતું. જ્યારે મોટા પ્રમાણમાં રો-મટીરીયલ પણ કબજે કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના છ પેડલરો ડ્રસનો વેપલો કરતા હતા.હવે આ પેડલરો - સપ્લાયરો સાથે સંકળાયેલા લોકોની વિગતો ચકાસવામાં આવી રહી છે.ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના અધિકારીઓ જોઇ રહ્યા છે.જોકે મોનુંને લઇને ગુજરાતના ડ્રગ્સ કેસનું કનેક્સન પણ જોધપુર ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું હોવાનું સાબિત થઇ રહ્યું છે.
સરસપુરની પતરાવાળી ચાલીમાં રાત્રે ઘરમાં પ્રગટાવેલા દીવાની દીવેટ ઉંદરે ખેંચીને નીચે પાડી દીધી હતી, જેના કારણે કપડાં અને ગાદલામાં આગ લાગી અને સમગ્ર ઘરમાં ઝડપથી આગ ફેલાઈ ગઈ. આ દુર્ઘટનામાં 35 વર્ષીય રેખાબેન દંતાણી, તેમનો ત્રણ વર્ષીય પુત્ર શ્રેયાંશ અને 70 વર્ષીય મામા નરોત્તમભાઈ દંતાણી ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન ત્રણ વર્ષના શ્રેયાંશનું મોત નીપજ્યું છે, જ્યારે રેખાબેન અને તેમના મામા હજુ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. દરવાજો અંદરથી બંધ હોવાથી ખુલતો ન હતોમળતી માહિતી મુજબ રેખાબેનનો પરિવાર છેલ્લા 15 વર્ષથી લાઇટબિલ ભરતો ન હોવાથી ઘરમાં વીજળી નથી. રાત્રે થોડું અજવાળું રહે તે માટે પથ્થર પર દીવો પ્રગટાવીને સૂતા હતા. 1 ડિસેમ્બરની રાત્રે પણ આ જ રીતે દીવો પ્રગટાવીને ત્રણેય સૂઈ ગયા હતા. રાત્રે ઉંદરે દીવેટ ખેંચીને નીચે પાડી દીધી અને ક્ષણોમાં કપડાં-ગાદલામાં આગ લાગી ગઈ. ઘરમાં ધુમાડો ફેલાતાં ત્રણેય જાગી ગયા પરંતુ, દરવાજો અંદરથી બંધ હોવાથી ખુલતો ન હતો. બૂમાબૂમ કરતાં આસપાસના લોકોએ દોડી આવીને લાતો મારીને દરવાજો તોડ્યો અને ત્રણેયને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય ગંભીર રીતે દાઝી ચૂક્યા હતા. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતોસ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. દાઝી ગયેલા ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષીય શ્રેયાંશનું મોત થયું હતું. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાઈ ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ગરીબ વિસ્તારોમાં વીજળીની મૂળભૂત સુવિધાના અભાવે થતા જોખમો પર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13 અને 14 તારીખના દિવસે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 યોજવામાં આવશે. સ્નેહશીલ્પ ફાઉન્ડેશન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0માં 106 જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવશે. પહેલી વખત AI સંકલિત સ્ટાર્ટઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માસ્ટરક્લાસ, સ્થાપક-રોકાણકારોના સંવાદો, ઉત્પાદન પ્રદર્શનો, પિચ ઇન્ટરેક્શન અને થીમ આધારિત નેટવર્કિંગ ઝોન રજૂ કરવામાં આવશે. AI સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેની આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત106 સ્ટોલ અને AI નેતૃત્વ હેઠળના જોડાણ સાથે બે દિવસીય ઇનોવેશન શોકેસ તૈયાર કરવામાં આવશે. સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ભારતનો પ્રથમ સંપૂર્ણપણે AI સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેની આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે. જેમાં સામૂહિક રીતે 350 કરતા વધુ સ્ટાર્ટઅપ્સ, 260 કરતા વધુ રોકાણકારો, 24,000થી વધુ ઉપસ્થિતો, 87 કરોડ કરતા વધુ LOI પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ટકાઉપણું, ફિનટેક, હેલ્થટેક, એગ્રીટેક, EV ઇનોવેશન અને સર્જનાત્મક ક્ષેત્રોના લીડર્સની ભાગીદારી હતી. ગઈ સીઝનમાં પણ વક્તાઓની પ્રભાવશાળી લાઇન-અપ જોવા મળી હતી જેમાં અશ્નીર ગ્રોવર, સોનુ સૂદ, સંદીપ એન્જિનિયર, સ્નેહ દેસાઈ, ચિરંજીવ પટેલ, હિરવ શાહ, ડૉ. રાજુલ ગજ્જર જેવા દિગ્ગજનો સમાવેશ થાય છે. જેમણે ઉદ્યોગસાહસિક વિકાસ માટે ભારતના સૌથી પ્રભાવશાળી પ્લેટફોર્મ પૈકીના એક તરીકે ફેસ્ટની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી હતી. ફેસ્ટમાં AI-સક્ષમ મેચમેકિંગ દર્શાવવામાં આવશે2025ની ત્રીજી આવૃત્તિમાં ટેકનોલોજી, ટકાઉપણું, ફિનટેક, કૃષિ, સર્જનાત્મક ઉદ્યોગો અને ઉભરતા ક્ષેત્રોમાં 106 સ્ટોલ ધરાવતું ઉચ્ચ-ઉર્જા નવીનતા પ્રદર્શન યોજાશે. આ કાર્યક્રમમાં હજારો સ્થાપકો, રોકાણકારો, કોર્પોરેટ્સ, વિદ્યાર્થીઓ અને ઇકોસિસ્ટમ લીડર્સ આકર્ષાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ગુજરાતના ઉદ્યોગસાહસિક શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકેના વધતા કદને વધુ મજબૂત બનાવશે. અસરકારક નેટવર્કિંગ, ક્યુરેટેડ શિક્ષણ અનુભવો અને ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ માટે વ્યૂહાત્મક વ્યવસાયિક સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફેસ્ટમાં AI-સક્ષમ મેચમેકિંગ દર્શાવવામાં આવશે. જે સ્ટાર્ટઅપ્સને સંબંધિત રોકાણકારો અને માર્ગદર્શકો સાથે લક્ષિત, અર્થપૂર્ણ વાતચીતો માટે જોડવા માટે રચાયેલ આવ્યું છે. 13 અને 14 ડિસેમ્બર, 2025ના રોજ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0માં માસ્ટરક્લાસ, સ્થાપક-રોકાણકારોના સંવાદો, ઉત્પાદન પ્રદર્શનો, પિચ ઇન્ટરેક્શન અને થીમ આધારિત નેટવર્કિંગ ઝોન રજૂ કરવામાં આવશે, જે સહયોગ, માન્યતા અને દૃશ્યતા માટે એક વ્યાપક પ્લેટફોર્મ બનાવશે.
રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીનો સિવિલ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટ સેન્ટ્રલ જેલમાં 65 વર્ષીય કેદી રાજેન્દ્ર પોપટભાઈ રાઠોડને તા.5 ડિસેમ્બરના બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઓપીડીમાં સારવારમાં લાવવામાં આવતા સર્જરી યુનિટ - 5/ પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે કેદી આજે સવારે 7 વાગ્યે પ્રિઝનર વોર્ડમાં હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તબીબ ત્યાં પહોંચી ગયા હતા જોકે તેને જોઈ તપાસી રાજેન્દ્રભાઈનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. પતિએ એક્ટિવા પર જતી પત્ની - પુત્રીને કારથી ટક્કર મારી કહ્યું - છૂટાછેડાનું નામ લઈશ તો જાનથી મારી નાખીશ રાજકોટ શહેરમાં પતી અને પત્ની વચ્ચેના ઝઘડાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં અવધના ઢાળ પાસે વીર સાવરકર આવાસમાં રહેતી પત્ની ભૂમિકાબેન નિમાવતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, 6 ડીસેમ્બરના સાંજે પોતાના ઘરના ગેટ પાસે એકટીવા પર દીકરી મહેકને ટ્યુશનમાં મુકવા માટે જતા હતા ત્યારે પતિ હિમાંશુભાઈ કાર લઈ આવ્યા હતા અને એકટીવાને ટક્કર મારી હતી જેથી ઇજા પહોંચી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સિટી બસ હડફેટે ઘવાયેલા વૃધ્ધનું સારવારમાં મોત શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 29 વર્ષીય સંજયભાઇ ભરતભાઇ અંબાસણાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 28 નવેમ્બરના બપોરે 12:30 વાગ્યાની આસપાસ 65 વર્ષીય પિતા ભરતભાઈ મોનજીભાઈ અંબાસણા રાજકોટ - ગોંડલ હાઇવે ઉપર સોલવંટ ફાટક સામે હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે GJ 03 BZ 4263 ના ચાલકે હડફેટે લેતા ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતુ.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગુજરાત સમસ્ત મુસ્લીમ ઘાંચી સમાજની સંસ્થામાં 18 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા નિવૃત્ત શિક્ષક નુરમહંમદ મીનાપરાએ રૂ. 39 લાખથી વધુની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે. સંસ્થાના જનરલ સેક્રેટરી સલીમભાઈ અગોલીયાએ જણાવ્યું કે, કર્મચારીઓના પગારમાં રૂ. 9 લાખ, ખરીદીના ખોટા વાઉચરોમાં રૂ. 12 લાખ, રિપેરિંગના ખોટા બિલમાં રૂ. 14 લાખ તથા પરચૂરણ ખર્ચમાં રૂ. 4 લાખ સહિત કુલ રૂ. 39 લાખની ગેરરીતિ સામે આવી છે. આ ઉપરાંત મેનેજરે મહત્વના દસ્તાવેજો અને રેકર્ડનો પણ નાશ કર્યો હતો. આંતરિક તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતાં ફેબ્રુઆરી-2024માં નુરમહંમદે રાજીનામું આપી દીધું હતું, જૂના કર્મચારીઓને પણ હટાવી નવી ભરતી કરવામાં આવી હતી, તેમ છતાં આઠ સભ્યોની તપાસ સમિતિએ ભ્રષ્ટાચારની પુષ્ટિ કરી હતી. આ મામલે સલીમભાઈ અગોલીયાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં નુરમહંમદ મીનાપરા સામે છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. પશુઓની ગેરકાયદે હેરાફેરી કરીશહેર કોટડામાં પોલીસને બાતમી મળી હતી કે, માઘુભાઇ મીલ કમ્પાઉન્ડમાં આવેલ મહેબુબભાઈ શેખની ઓરડી ખાતે કેટલાક શખ્સો જીવતા પશુઓની ગેરકાયદે હેરાફેરી કરી તેમને પાણી કે ઘાસચારો આપ્યા વિના અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને, કતલ કરી માંસનું વેચાણ કરી રહ્યા હતા. જેને પગલે પોલીસે દરોડો પાડીને ફકરૂદીન પઠાણ, આસીફ શેખ, મોહમંદ ઇકબાલ કુરેશી, સાકીર શેખ, એજાઝ હુસેન શેખ, ફૈસલ શેખ અને અજય પટણીને રંગેહાથ ઝડપ્યા છે. પોલીસે કુલ રૂપિયા 3,93,340નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ એક જીવતો બળદ અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલો મળી આવ્યો હતો તેનો પોલીસે બચાવ્યો હતો. આરોપી એજાઝ હુસેન અલીહુસેન પીરમોહમંદ શેખે ઓરડી ભાડે રાખી હતી. આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ ખેડૂત પાસેથી ખેતી કરવાના બહાને બળદો ખરીદીને લાવ્યા હતા. એક બળદ વીજાપુરના લાડોલ ગામથી અને બીજો પાટણથી લાવવામાં આવ્યો હતો. આ પશુઓને ડ્રાઇવર રાકેશભાઇની બોલેરો ડાલામાં ભરીને અહીં લાવવામાં આવ્યા હતા. ત્યારે એક આરોપી અમીન કુરેશી ફરાર છે. જેમાં અમીને દાવત માટે માંસનો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. BRTS બસચાલકે મહિલાને અડફેટે લીધાનારોલમાં રહેતા હિતેશકુમાર કાપડીયા વટવા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત 6 ડિસેમ્બરે તેમની 59 વર્ષીય માતા પુષ્પાબેન રાત્રીના સમયે પુત્રવધુ સાથે દાણીલીમડા સંબંધીના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ ચંડોળા બેરલમાર્કેટ પાસે BRTS બસ સ્ટેન્ડ પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ BRTS બસચાલકે પુષ્પાબેનને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો આવીને ઇજાગ્રસ્ત પુષ્પાબેનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પુષ્પાબેનનું મોત નિપજ્યુ હતુ. આ અંગે હિતેશકુમારે બીઆરટીએસ બસચાલક સામે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે બસચાલક રમણભાઇ ચૌધરીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મહિલા હિંસા નાબૂદી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:છાંયા રામેશ્વર મહિલા મંડળમાં માર્ગદર્શન કેમ્પ
પોરબંદરમાં આજે ( 7 ડિસેમ્બર )ના રોજ છાંયા રામેશ્વર મહિલા મંડળમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાનો હતો. મહિલા મંડળના પ્રમુખ મંજુબેન ડાકીએ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહે તે માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા. તેમની પહેલથી અનેક મહિલાઓએ આ માર્ગદર્શન કેમ્પનો લાભ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત OSC–181 ટીમ દ્વારા બહેનોને મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટર પોરબંદર અને ઇમરજન્સી સેવા 181 વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બહેનોને આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો, મુશ્કેલીના સમયે કઈ સેવાઓનો સંપર્ક કરવો અને કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી.આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને તેમની સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો, જેણે મહિલાઓને તેમના અધિકારો અને ઉપલબ્ધ સહાય વિશે માહિતગાર કર્યા.
ગુજરાતમાં મહિલાઓ પર થતા દહેજના માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં વિવાહિત જીવનના પવિત્ર સંબંધોને પણ લજવતા ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. આ જ પ્રકારની એક એક ઘટનામાં જુનાગઢ ખાતે રહેતી 21 વર્ષીય ફરિયાદી મહિલા પરિણીતાએ તેના અમદાવાદના સાસરિયાઓ વિરુદ્ધ જૂનમહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ પતિ, સાસુ અને દિયર પર દહેજ માટે ત્રાસ આપવાનો, તથા સસરા પર શારીરિક સંબંધોની માંગણી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. લગ્નના વીસ દિવસમાં જ માનસિક ત્રાસ શરૂ ફરિયાદી મહિલાએ ફરિયાદમાં અજમાવ્યા મુજબ પરિણીતાના નિકાહ તા. 24/04/2025 ના અમદાવાદ, જમાલપુર લેન્ડમાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જેદ તોફીકભાઈ શેખ સાથે મુસ્લિમ ધર્મના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તે પતિ જેદ શેખ, સસરા તોફીકભાઈ શેખ, સાસુ સીતારાબેન અને દિયર રેહાનભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. માત્ર વીસેક દિવસ સારી રીતે રાખ્યા બાદ,પતિ જેદ શેખ કોઈ કામધંધો કરતા ન હોવાથી અને ઘરખર્ચ ન આપતા હોવાથી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.સાસુ સીતારાબેન અને દિયર રેહાનભાઈ દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા: તારો ઘરવાળો કાંઈ કામ કરતો નથી, એટલે તારે કામ કરવા જવું પડશે.તારા બાપે કાંઈ કરીયાવર આપેલ નથી, તારા બાપને કહે કે કરીયાવર અને પૈસા મોકલે. તેમજ તારો વર કે તું કાંઈ કમાતા નથી, તો મફતનું થોડી ખાવા મળે તેમ કહીને અપમાનિત કરતા હતા. જ્યારે પરિણીતા આ દુઃખની વાત પતિને કરતી, ત્યારે તેઓ તેમના માતા-પિતાનો જ સાથ આપતા હતા. જોકે, ઘરસંસાર ચલાવવા માટે તે બધું મુંગા મોઢે સહન કરતી રહી. સસરા દ્વારા શારીરિક માંગણી અને ધમકી તા. 17/09/2025 ના સબંધોને લજવાતી ઘટના બની હતી.જેમાં જ્યારે પતિ કામથી વડોદરા ગયા હતા અને દિયર દુકાને હતા, ત્યારે પરિણીતા અને સસરા તોફીકભાઈ શેખ ઘરે એકલા હતા. તે સમયે ઘરકામ કરી રહેલી પુત્રવધૂ પાસે આવીને સસરાએ અત્યંત હીનતાભર્યા શબ્દોમાં વાત કરી કે તારો ઘરવાડો કાંઈ કમાતો નથી પણ હું તને બધું જ આપીશ, તું પાણી માગીસ તો તને દૂધ આપીશ. અને તારી સાસુ તો કાચનું વાસણ છે, ઈ તો ક્યારે મરી જ જાય, આ બધું તારું જ છે. તું મારી સાથે શારીરીક સંબંધ રાખ, મારા છોકરાને મૂકી દે. આપડા બંને વચ્ચે જે કાઈ થસે તે કોઈને નહી ખબર પડે. તારો ઘરવાડો બીજે મોઢા મારે છે, તને શું ખબર પડવાની. હું તને ખુશ રાખીશ. પરિણીતાએ સસરાને હાથ જોડીને ના પાડી અને સમજાવ્યા કે તેઓ તેના બાપ સમાન છે અને જો તે આ વાત તેમના દીકરાને કહેશે તો તેમની ઈજ્જત જશે. તેના જવાબમાં સસરાએ ઉદ્ધતતાપૂર્વક કહ્યું કે, તારે જેને કહેવું હોય તેને કહેજે, કોઈ તારી વાત નહી માને, કેમ કે મારા ઘરના મારું જ સાંભળશે, તારું નહીં. અને જો આ વાત તું કોઈને કહીસ તો તને જાનથી મારી નાખીસ. આ ધમકીથી ડરીને પરિણીતાએ શરૂઆતમાં આ વાત કોઈને નહોતી જણાવી. સાસરિયાઓ ફરવા ગયા અને પુત્રવધૂને છોડી દીધી તા. 23/09/2025 ના રોજ, સસરા, સાસુ, દિયર અને પતિ બધા જ બગદાદ (ઈરાન) ફરવા જવાના હતા. તે જ દિવસે સાંજે 5:00 વાગ્યાની એસ.ટી. બસમાં પતિ તેને બેસાડી ગયા, અને તે એકલી તેના પપ્પાના ઘરે જુનાગઢ પરત આવી ગઈ હતી.પંદર દિવસ બાદ સાસુએ ફોન કરીને તેને અમદાવાદ આવી જવા કહ્યું. જ્યારે પરિણીતાએ સસરાના શારીરિક માંગણી અને દુર્વ્યવહારની વાત કરી, ત્યારે સાસુએ આ વાતને નકારી કાઢી અને કહ્યું કે મારા પતિ આવું ક્યારેય ના કરે, તું ખોટું બોલે છે. અને ધમકી આપી કે તું અમારા ઘરે હવે ના આવતી, અમે અમારા છોકરાને બીજે લગ્ન કરાવી દેશું. ખોટી ફરિયાદો અને માનસિક ત્રાસ નાછૂટકે, પરિણીતાએ તા. 15/10/2025 ના રોજ મહિલા પોલીસ સ્ટેશન, જુનાગઢ ખાતે અરજી કરી હતી, જેમાં સમાધાનની વાત થઈ હતી, પરંતુ પતિ તેને લેવા ન આવતા. ત્યાર બાદ સાસરિયાઓએ ઊલટાનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને જમાલપુર પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી કે પરિણીતા દાગીના અને રોકડ લઈને જતી રહી છે. તા. 01/12/2025 ના રોજ જમાલપુર પોલીસ સ્ટેશનથી ફોન આવતા પરિણીતાને જાણ થઈ કે તેના પતિએ અરજી કરી છે કે તે દાગીના અને રૂપિયા લઈ ગઈ છે અને સાસરે આવવા માંગતી નથી. સતત ખોટી અરજીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને, ફરિયાદી મહિલા પરિણીતાએ આજે તેના ભાઈ સાથે મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ, સાસુ, દિયર સામે દહેજ અને ત્રાસ, સસરા વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે..
ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે કાંસુડી ગામના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 6 ડિસેમ્બરના રોજ બપોરના સુમારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે 4.51 લાખ રૂપિયાની કિંમતની 3177 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના કાંસુડી ગામના ટેકરા ફળિયામાં રહેતો ક્રિષ્ના સોલંકી નામનો યુવાન પોતાના ઘરમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાખે છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના સંજયભાઈ સોલંકીના ઘરે છાપો માર્યો હતો. પોલીસ રેડ દરમિયાન ક્રિષ્ના સંજયભાઈ સોલંકી મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા ઘરના અલગ અલગ રૂમમાંથી 4.51 લાખ રૂપિયાની કિંમતનો 3177 વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ક્રિષ્નાએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેણે વેજલપુર પાસે આવેલી ધારા હોટેલવાળા પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલ પાસેથી મેળવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી ક્રિષ્ના સંજયભાઈ સોલંકી અને દારૂનો જથ્થો આપનાર પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલ એમ બંને ઇસમો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સોમનાથ મંદિરમાં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ:108 બ્રાહ્મણો 5 દિવસમાં 24 લાખ આહુતિ અર્પણ કરશે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ મહાયજ્ઞ પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં ૧૦૮ બ્રાહ્મણો દ્વારા ૯ યજ્ઞકુંડોમાં કુલ ૨૪ લાખ આહુતિઓ અર્પણ કરવામાં આવશે. શિવ આરાધનાનું સૌથી મોટું અનુષ્ઠાન ગણાતા આ અતિરુદ્ર યજ્ઞનું આયોજન શિવકૃપા અને પ્રસાદ પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે. આ યજ્ઞ પૂર્વજન્મના સંચિત કર્મોના ફળની પ્રાપ્તિ કરાવે છે અને જન્મ-જન્માંતરના પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પુણ્ય માત્ર યજમાન પૂરતું સીમિત નથી, પરંતુ જીવમાત્રના કલ્યાણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. યજ્ઞ દ્વારા આત્માની શુદ્ધિ થાય છે અને આકાશમંડલમાં યજ્ઞમાંથી નીકળતો ધૂપ પણ શુદ્ધતા પ્રદાન કરે છે, જેનાથી આભામંડળની પણ શુદ્ધિ થાય છે. સોમનાથ તીર્થ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને તે એક પુણ્યભૂમિ છે. ચંદ્રમાએ પણ પોતાના દોષોના નિવારણ માટે પ્રભાસ તીર્થમાં આવીને તપ કર્યું હતું અને ભગવાન સોમનાથને પ્રસન્ન કર્યા હતા. આવી પવિત્ર ભૂમિ પર જે કોઈ શિવભક્ત યજ્ઞ, જપ, અભિષેક અથવા અન્ય ધર્મ કાર્યો કરે છે, તેમની મનોકામનાઓ તત્કાલ પૂર્ણ થાય છે અને સોમનાથ મહાદેવ તેમના પર પ્રસન્ન થાય છે. અતિરુદ્ર યજ્ઞ કરવો એ મહાન પુણ્ય આપનારું કાર્ય છે, પરંતુ જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે તેના માત્ર દર્શન કરવાથી પણ મોટું પુણ્ય અર્જિત થાય છે. શાસ્ત્રોમાં યજ્ઞને સાક્ષાત્ નારાયણનું સ્વરૂપ માનવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના દર્શને આવનાર પ્રત્યેક ભક્તોને આ પાવન યજ્ઞના દર્શનનો લાભ લેવા આમંત્રિત કરે છે.
પોરબંદરમાં નેવી ડેની ભવ્ય ઉજવણી:ચોપાટી પર યુદ્ધ જહાજો, ડોનિયર, ડ્રોનનું શક્તિ પ્રદર્શન
ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવાય છે. આ વર્ષે પોરબંદર ચોપાટી પર નેવલ હેડ ક્વાર્ટર દમણ અને દીવ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ભારતીય નૌસેનાના 4 યુદ્ધ જહાજો, 3 ડોનિયર એરક્રાફ્ટ અને ડ્રોન દ્વારા સમુદ્ર વિસ્તારમાં આકર્ષક કૌવત પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ દૃશ્યો જોવા માટે ચોપાટી પર જનસમુદાય ઉમટી પડ્યો હતો. ભારતમાં 4 ડિસેમ્બર, 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના દ્વારા કરાયેલા ઐતિહાસિક ઓપરેશન ટ્રાઇડન્ટની યાદમાં નેવી ડે ઉજવાય છે. 4 ડિસેમ્બર, 1971ની રાત્રે ભારતીય મિસાઈલ બોટ્સે કરાચી બંદર પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની નૌસેનાને ભારે નુકસાન થયું હતું. આ શૌર્ય અને સાહસિકતાની યાદમાં આ દિવસ સમગ્ર દેશમાં ઉજવાય છે. પોરબંદરની ચોપાટી પર યોજાયેલા કાર્યક્રમમાં ઇન્ડિયન નેવીના જવાનો દ્વારા માર્ચ પાસ્ટ, ડી.અઝ.ડી જવાનોની પરેડ, એન.સી.સી. અને સી કેડેટ્સના પ્રદર્શનો રજૂ કરાયા હતા. મહિલા અગ્નિવીર અને જવાનોએ હથિયારો સાથે કરતબો પણ દર્શાવ્યા હતા. નેવલ બેન્ડના દેશભક્તિપૂર્ણ સૂરોએ વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં નેવીના ફોગના રીઅર એડમિરલ તન્નુ ગુરુ અને નોએક ગુજરાતના કોમોડોર સૌરવ રસ્તોગી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ અનેક કૌવતો રજૂ કરીને કાર્યક્રમની શોભા વધારી હતી.
અમદાવાદના એસજી હાઈ-વે પર સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ થયો છે. માધવ ઔડા ગાર્ડન નજીક કોઈ અજાણી વ્યક્તિ ક્લોરિનનો બાટલો ફેંકીને જતું રહ્યું, જે બાટલામાંથી ગેસ લીકેજ થતા આસપાસના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ક્લોરિન ગેસને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા, જેમાં બે ફાયર બ્રિગેડના જવાનોને અસર પહોંચી હતી, જેના પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ દ્વારા હાલ ક્લોરિન ગેસ પર પાણીનો મારો ચલાવી તેને બંધ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગેસ વધુ હવામાં ન ફેલાય તેના માટે પ્રયાસ હાથ ધર્યાફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં ક્લોરિન ગેસનો બાટલો લીકેજ થયો છે, જેમાંથી ગેસ બહાર નીકળી જવા દેવો પડે એવી સ્થિતિ છે. જેથી, પાણીનો મારો તેના પર ચલાવવામાં આવી રહ્યો છે અને જ્યા સુધી તમામ ગેસ બહાર ન નીકળી જાય ત્યા સુધી પાણીનો મારો ચલાવવામાં આવશે. જેથી, ગેસ વધુ હવામાં ફેલાઈ નહીં.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સામાં પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. દહેગામના વાસણા-હરસોલી રોડ પર ઝાડીમાંથી જે નિઃસંતાન દંપતીએ બાળકીને બચાવીને દેવદૂતનું કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો તે સ્ટોરી સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. નિઃસંતાન દંપતીએ બાળકી અપનાવવા માટે ખોટી સ્ટોરી ઘડી હતી. જ્યારે 16 વર્ષની કુંવારી સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આસપાસના વિસ્તારમાં નિષ્ઠુર જનેતાની શોધખોળ આદરી હતીદહેગામના ગણેશપુરા ગામના 57 વર્ષીય મોહનસિંહ રાઠોડે પોલીસ ફરિયાદમાં દાવો કર્યો હતો કે, ગત પાંચમી ડિસેમ્બરની રાતે તે વાસણા-હરસોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન નજીકની ઝાડીમાં લઘુશંકા અર્થે ગયા હતા. ત્યારે અચાનક જ તેમને નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. આથી કુતૂહલવશ તેમણે વનરાજી વિસ્તારમાં તપાસ કરતાં એક નવજાત બાળકી મળી આવી હતી. બાદમાં આસપાસના વિસ્તારમાં નિષ્ઠુર જનેતાની શોધખોળ આદરી હતી, પરંતુ નિષ્ઠુર માતાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જેથી તેઓ બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતા. જ્યાંથી દંપતિ રિક્ષામાં નવજાત શિશુને દહેગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ ધ્વારા જગ્યા નહીં હોવાનું કહીને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપી હતી. 16 વર્ષની કુંવારી દીકરી નવજાત બાળકીને જન્મ આપવાની હતીબાદમાં દંપતીએ બાળકીને સિવિલમાં દાખલ કરાવ્યું હતું. બીજી તરફ બાળકીની ફરિયાદ પોલીસ મથકના ચોપડે નોંધાતા જ બાળકીની ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી. જેમાં મોહનસિંહની સ્ટોરી સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ અંગે વિશ્વસનીય સુત્રોએ કહ્યું કે, દહેગામના ગણેશપુરા ગામનો મોહનસિંહ રાઠોડ અને તેની પત્ની સવિતાબેન નિસંતાન છે. એટલે મોહનસિંહે જ નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધી હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હકીકતમાં મોહનસિંહ સંતાન સુખથી વંચિત હતો. એટલે ખેડા ખાતે રહેતા તેના એક સંબંધીના કોઈ પરિચિતની 16 વર્ષની કુંવારી દીકરી નવજાત બાળકીને જન્મ આપવાની હતી. આથી મોહનસિંહને તેના સંબંધીએ જાણ કરી હતી. જેથી મોહનસિંહ બાળકીને અપનાવવા તૈયાર થઈ ગયો હતો. નવજાત બાળકીને જોઈ તેની પત્નીનો પણ માતૃપ્રેમ જાગૃત થઈ ગયોબાદમાં કુંવારી સગીરાએ બાળકીને જન્મ આપતા ખેડાથી આવીને સંબંધીએ બાળકી મોહનસિંહને સોંપી દીધી હતી. જેને લઈને મોહનસિંહ પોતાના ઘરે ગયો હતો. નવજાત બાળકીને જોઈ તેની પત્નીનો પણ માતૃપ્રેમ જાગૃત થઈ ગયો હતો. બંનેએ બાળકીને ઉછેરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ સમાજમાં શું કહીશું એ વાત મોહનસિંહને સતાવી રહી હતી. એટલે મોહનસિંહે પ્લાન ઘડી કાઢ્યો હતો અને પોતે દહેગામ વાસણા રોડ પરથી બાઇક લઈને પસાર થતો હતો. એ દરમિયાન લઘુશંકા કરવા નજીકની ઝાડીઓમાં જતા બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હોવાની સ્ટોરી ઊભી કરી દીધી હતી. જોકે નવજાત બાળકીની તબિયત લથડી રહી હોવાથી પતિ-પત્ની ચિંતામાં મુકાઈ ગયા હતા અને તાત્કાલિક દહેગામની હોસ્પિટલ લઈ ગયા હતા. મોહનસિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવવા બદલ ગુનો નોંધાશેજોકે ખાનગી હોસ્પિટલ દ્વારા બાળકીને ગાંધીનગર સિવિલ લઈ જવાની સલાહ આપી હતી. જેથી નિઃસંતાન દંપતી 108 એમ્બ્યુલન્સ થકી બાળકીને ગાંધીનગર સિવિલ લઈ આવ્યું હતું. હાલમાં સિવિલમાં દાખલ બાળકીની તબિયત સ્થિર છે. વધુમાં પોલીસે કહ્યું કે, બાળકીની સંભાળ મોહનસિંહની પત્ની રાખી રહી છે. સાથે સાથે મહિલા પોલીસ પણ બાળકીનું ધ્યાન રાખી રહી છે. આ કિસ્સામાં મોહનસિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવવા બદલ ગુનો નોંધવામાં આવશે. ઉપરાંત નવજાતને જન્મ આપનાર સગીરાની પૂછતાછ કરી પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાવવાની તજવીજ કરીશું . જ્યારે બાળકીને મોહનસિંહને સોંપનાર ઇસમ સામે પણ મદદગારીનો ગુનો દાખલ કરવામાં આવશે.
વડોદરાના રામનાથ ગામે આવેલા રહેતા પિતા અને પુત્ર ગાડીમાં સામાન ભરીને રાજસ્થાન બિકાનેર ખાતે સામાનની ડિલિવરી આપવા માટે ગયાં હતા. ત્યારે માતા તેમનું ઘર બંધ કરીને અન્ય પુત્ર તથા પુત્રવધૂ પાસે ઉંઘવા માટે ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનને મોડી રાત્રે નિશાન બનાવી તસ્કરોએ રૂ.7.30 લાખના સોના ચાંદીના દાગીનાના ચોરી કરી ફરાર થઇ ગયાં હતા. જેથી સવારે ચોરીની જાણ થતા યુવકે વરણામાં પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે. વડોદરા જિલ્લાના રામનાથ ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા બીપીનભાઇ પ્રભાતસિંહ પઢિયાર ગાડીઓ જીઆઈડીસીમાં ભાડેથી ચલાવે છે. ગત 5 ડિસેમ્બરના રોજ સવારમાં તેમના પિતા પ્રભાતસિંહ તથા નાનોભાઈ જૈમિન બે ગાડીઓમાં માંગલેજ ખાતેથી કંપનીનો માલ ભરીને બિકાનેર (રાજસ્થાન) ખાતે ખાલી કરવા માટે ગયા હતા. ત્યારે યુવકની માતા તેમના ઘરને તાળુ મારીને પુત્ર બિપિનના ઘરે સુવા માટે આવી ગયા હતા. રાતના દસેક વાગ્યાની આસપાસ ઘરમાં યુવક માતા અને પત્ની સાથે ઉંઘતો હતો. સવારે સાત વાગ્યે યુવકની માતા ડેરીમાં દુધ ભરવા માટે જતા હતા. તે વખતે તેઓએ બીજા ઘરને મારેલુ તુટેલુ તથા દરવાજો ખુલ્લો જોતા દુધ ભરવાનુ રહેવા દઈને ઘરે પાછા આવી ગયા હતા અને પુત્રને જગાડીને બીજા ઘરનો દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી. ત્યાબાદ પુત્ર અને તેની પત્ની સાથે ઘરમાં તપાસ કરવા માટે ગયાં હતા. ત્યારે સામાન વેરવિખેર પડેલો હતો તથા તીજોરીમાં વર્ષો જુના સોના-ચાંદીના દાગીના મળી રૂ. 7.30 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયાં હતા. જેથી યુવકે વરણામા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.
માળીયા (મી.) તાલુકાના મોટા દહીસરા ગામમાં ખેડૂતની જમીનમાં વીજ લાઇનનો થાંભલો ઉભો કરવા અને વળતર અન્યને ચૂકવવા બદલ જેટકો કંપનીના અધિકારીઓ સહિત પાંચ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. વૃદ્ધ ખેડૂતની ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં રહેતા મૂળ મોટા દહીસરાના જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (ઉં.વ. 61) એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જેટકો કંપનીના જવાબદાર અધિકારી, કર્મચારી, અધિકારી જે.એમ. વિરમગામ અને પંચક્યાસમાં સાક્ષી તરીકે સહી કરનાર બે વ્યક્તિઓ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું કે, મોટા દહીસરા ગામની સીમમાં તેમની કબજા ભોગવટાવાળી સર્વે નંબર 576/1 પૈકી 2 વાળી ખેતીની જમીનમાં તેમની મંજૂરી વગર પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેતરના દરવાજા અને ખેતીના પાકને નુકસાન પહોંચાડીને જેટકો કંપની દ્વારા 132 કેવી વીજ લાઇનનો AP-4 થાંભલો ખેતરના પ્રવેશદ્વાર પર ઉભો કરવામાં આવ્યો હતો. આ થાંભલા માટેનું વળતર ફરિયાદીને ચૂકવવાના બદલે, પંચક્યાસના બે સાક્ષીઓએ ખોટી સહીઓ કરીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદીની જમીન સર્વે નંબર 576/1 પૈકી 2 હોવા છતાં, સર્વે નંબર 576/1 પૈકી 1 ના માલિક કચરા લાખાભાઈને ₹2,66,915 નું વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું. આમ, ફરિયાદી સાથે ₹2,66,915 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જયસુખભાઈ દ્વારા વર્ષ 2018 થી 2025 દરમિયાન આ મામલે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો, આરટીઆઈ હેઠળ માહિતી માંગણી અને કાનૂની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આટલા લાંબા સંઘર્ષ બાદ તેમની ફરિયાદ પોલીસ વિભાગ દ્વારા નોંધવામાં આવી છે. પોલીસે હવે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ:સાપુતારા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી, લાખોનો મુદ્દામાલ રિકવર
સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હન તરીકે ઓળખાતી છેતરપિંડી કરતી ગેંગને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક અને આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 11219030250389/2025, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 3(5), 61, 318(4) હેઠળના ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ગેંગ લગ્ન કરાવવાના બહાને ભોગ બનનારને છોકરી બતાવીને તેમની પાસેથી લગ્ન ખર્ચ તરીકે ₹2,00,000 પડાવી લેતી હતી. આ જ ઇરાદા સાથે છેતરપિંડી કરીને ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. 6 ડિસેમ્બર, 2025ના રોજ ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તાલુકાવાર અને આંતરરાજ્ય સ્તરે તપાસ હાથ ધરી હતી. આખરે, ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલ્યામાળ ગામોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં મહિલાઓ ઉપરાંત સ્થાનિક પુરુષો પણ સંડોવાયેલા હતા. પકડાયેલા આરોપીઓમાં નિકીતાબેન ઉર્ફે જિયા રમેશભાઈ (પળશી – ઔરંગાબાદ, હાલ ગંગાપુર), જ્યોતીબેન ઉર્ફે સંગીતા ધર્માભાઈ (જાલના, હાલ ગંગાપુર), વિજયભાઈ બાળુભાઈ ભોયે (પીપલ્યામાળ, ડાંગ), રમેશભાઈ રાજુભાઈ જાદવ (કડમાળ, ડાંગ) અને સોમનાથભાઈ સદુભાઈ પવાર (ચીચધરા, ડાંગ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,30,000 રોકડા, આશરે ₹3,00,000ની કિંમતનું ફોર વ્હીલર અને ₹13,000ની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ ₹4,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને વુમન કોન્સ્ટેબલ સહિત 10 જેટલા જવાનોનો સમાવેશ થતો હતો. તેમની ઝડપી કામગીરી, તકેદારી અને ખંતભર્યા શોધખોળ ઓપરેશનથી સાપુતારા પોલીસે પીડિતને ન્યાય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સાપુતારા પોલીસની આ કાર્યવાહી ડાંગ જિલ્લામાં ગુનાખોરી રોકવા અને આવા છેતરપિંડી કરનારાઓ માટે ચેતવણીરૂપ સાબિત થઈ છે.
જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળથી નાશ કરવાના ભાગરૂપે, પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાહિત ઈતિહાસ ધરાવતી 5 આરોપીઓની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક-2015 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ ગુનાને મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે દિલા છેલાણાની ધરપકડ કરીઅલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની કડક કાર્યવાહી અને પૂછપરછના કારણે લંગડાતી હાલતમાં જોવા મળેલા આરોપી દિલીપ છેલાણાએ જાહેરમાં પોતાનો પસ્તાવો વ્યક્ત કરતા અને અન્ય ગુંડા તત્વોને ચેતવણી આપતા જણાવ્યું કે, હવે કોઈ ગેંગ બનાવશો નહીં કે કોઈ દારૂ, જુગાર કે રેતીના ગેરકાયદેસર ધંધા કરતા નહીં. બંધ કરી દેજો ,આવું જો કોઈ આવું કરશો તો પોલીસ મારી મારીને લાંબા કરી નાખશે. સંગઠિત ગુનાખોરી સામે કાયદાનો ડર અને પોલીસની આકરી કાર્યવાહીનું આ નિવેદન જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી સંગઠિત ગુનાખોરી કરનારા તત્વોમાં કાયદાનો ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવાના ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ કે.એમ. પટેલ દ્વારા 5 આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતના મજબૂત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિગતવારનો રિપોર્ટ જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસેથી મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. આ મંજૂરી મળતાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની વધુ તપાસ જુનાગઢ રૂરલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારને સોંપવામાં આવેલી છે ગેંગ લીડર દિલીપ છેલાણાની ધરપકડ ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ આરોપી નંબર કરશન ગલ્લાભાઈ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અન્ય આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારુ નાસતા-ફરતા હતા, તેમના ઘરે અને સંભવિત ઠેકાણાઓ પર ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાંથી B.N.S.S. કલમ-72 મુજબનું બિનમુદતી વોરંટ પણ કઢાવવામાં આવ્યું હતું. આ બહોળી પ્રસિદ્ધિ વચ્ચે, જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આજે ગેંગના મુખ્ય આરોપી અને લીડર દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાને ઝડપી પાડવા આવ્યો હતો. પકડાયેલો આરોપી દિલીપ ઉર્ફે દિલા છેલાણા વિઠલેશ ધામ, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રહે છે. ગેંગના સભ્યો: પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ ગુજસીટોક ધારા હેઠળ નોંધાયેલા આ સંગઠિત ગુનામાં પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓમાં અગાઉ કરશન ગલ્લાભાઈ મોરી અને આજે પકડાયેલ ગેંગનો મુખ્ય આરોપી દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે આ ગુનાના કામે અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર અને વોન્ટેડ છે, જેમાં ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ (રહે. સરગવાડા ગામ), નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ (રહે. સરગવાડા ગામ), અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ (રહે. કોયલી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય સભ્યો અંગેની તપાસ DySP રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર કે.એમ. પટેલ, હેડ કોન્સ. વનરાજસિંહ બનેસિંહ, આઝાદસિંહ મુળુભાઈ, ઇન્દ્રજીતસિંહ રણવિરસિંહ, પો.કોન્સ. ચેતનસિંહ જગુભાઈ સહિતના પોલીસ સ્ટાફે સાથે રહીને આ મહત્વની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.
નર્મદા જિલ્લા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કામો ચાલી રહ્યા છે. તાજેતરમાં સંકલન સમિતિની મળેલી બેઠકમાં તપાસની માંગણી કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ મોટી તોડપાણી કરી છે. એવાનો ગંભીર આક્ષેપ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સાંસદ મનસુખ વસાવાએ ભલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વગર આ આરોપો લગાવ્યા હોય, પરંતુ તેમનો ઈશારો કોની તરફ છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. 'એજન્ટ' પ્રકારના લોકો અને 'ચોર-શાહુકાર'ની પરિસ્થિતિમનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યમાં પ્રવાસ કરે છે, આ લોકો એજન્ટ પ્રકારના લોકો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટ્રાઇબલ જિલ્લામાં થતા વિકાસના કામોમાં 'આપ'ના લોકો 'ચોર શાહુકારને ડંડે' તેવી પરિસ્થિતિ ઊભી કરે છે. તેઓ સંકલનની મીટિંગોમાં તપાસની માંગણી કરે છે અને ત્યારબાદ અધિકારીઓ તેમજ એજન્સીઓ પાસેથી તોડપાણી કરતા હોય છે. સાંસદ વસાવાનો દાવો છે કે આ નેતાઓ ટ્રાઇબલ વિસ્તારમાં ચાલતા કામોમાં લાખો રૂપિયાનો તોડ કરે છે. 75 લાખની માંગણીનો સનસનીખેજ આરોપસાંસદ વસાવાએ વધુ એક સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના બે મોટા કાર્યક્રમોમાં થયેલા ખર્ચ મુદ્દે સંકલનની બેઠકમાં પૂછાયેલા પ્રશ્ન બાબતે એજન્સીના નંબર મેળવીને આમ આદમી પાર્ટીના નેતાએ તેમની પાસેથી રૂ. 75 લાખની માંગણી કરી હતી. આપના લોકોને તોડપાણી કરવામાં કોઈપણ જાતની શરમ લાગતી નથી, તેમ તેમણે ઉમેર્યું. તેમણે ભરૂચમાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ 'આપ'ના લોકો તોડપાણી કરતા હોવાનું જણાવ્યું હતું. ગરુડેશ્વર મ્યુઝિયમ અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણમનસુખ વસાવાએ ગરુડેશ્વરમાં આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી વ્યક્તિઓના મૃત્યુના કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મરનારના પરિવારને તો વળતર મળ્યું, પણ રાજકીય નેતાઓએ એજન્સી પાસેથી પણ તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણસાંસદે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા કહ્યું કે, મારી સાથે ફરતો વ્યક્તિ પણ જો ભ્રષ્ટાચાર કરતો હોય તો હું એને પણ નહીં છોડું. આવી રીતે જો તોડપાણી ચાલશે તો ગુજરાતનો વિકાસ રૂંધાઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભ્રષ્ટાચાર બાબતે કોઈ પણ પક્ષના લોકો હોય, તેમને ખુલ્લા પાડવા પડશે. લોકોને ડરાવવાના અને ધમકાવાના ધંધા ટ્રાઇબલ વિસ્તારમાં ચાલી રહ્યા છે, તે ચલાવી લેવાશે નહીં, તેમ કહી તેમણે ચેતવણી આપી હતી.
નેશનલ હાઈવે 48 પર ટ્રક પલટી:વેસ્મા નજીક અકસ્માતથી ટ્રાફિક જામ, પોલીસ પહોંચી
નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ઓવરબ્રિજ ઉતરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક હાઈવે પર પલટી મારી ગયો હતો. અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલો સામાન હાઈવે પર વેરવિખેર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
Indian Railways 89 Special Train : ઈન્ડિગો એરલાઈન્સ હાલ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં એરલાઈન્સની 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ થઈ થતા ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુસાફરોના હિતમાં ભારતીય રેલવેએ ત્રણ દિવસમાં 100થી વધુ રૂટો પર 89 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવાશે વિશેષ ટ્રેન રેલવે અધિકારીઓએ કહ્યું છે કે, આ વિશેષ ટ્રેનો દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવવામાં આવશે. સેન્ટ્રલ, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સાઉથ ઈસ્ટર્ન, નોર્ધન અને સાઉથ સેન્ટ્રલ રેલવે સહિતના ઝોને વધારાના રેક અને કોચની વ્યવસ્થા કરી છે.
મોરબીના સનાળા પાસે બંધ શોરૂમમાં આગ:ફાયર વિભાગે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
મોરબીના સનાળા ગામ પાસે આવેલા એક બંધ શોરૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી મહાપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટના સનાળા ગામ નજીક આવેલા દરિયાલાલ સ્ક્વેર શોપિંગ સેન્ટરના નીચેના ભાગમાં આવેલા માધવ સુઝુકી શોરૂમમાં બની હતી. આસપાસના વેપારીઓએ તાત્કાલિક શોરૂમના સંચાલકો અને મોરબી મહાપાલિકાને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ગઢડાના બોટાદ રોડ પર આવેલા CNG પંપ નજીક 1 ડિસેમ્બરની રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ગઢડાના યુવાન યાશીનભાઈ ભટ્ટીનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે અન્ય યુવાન સલમાન પઠાણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ગઢડા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. ગઢડા શહેરમાં મુખ્ય માર્ગો પર CCTV કેમેરા ન હોવાથી પોલીસ માટે પડકાર હતો. તેમ છતાં, પોલીસ ટીમે છેલ્લા પાંચ દિવસ દરમિયાન રોડ પર તેમજ વાડી વિસ્તારમાં આવેલા અનેક ખાનગી CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન, એક બલેનો કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસને જાણ થઈ કે આ બલેનો કાર ગઢડાના પીપળ ગામની હતી અને સંજયભાઈ નારણભાઈ ચૌહલા નામના વ્યક્તિ તેને ચલાવી રહ્યા હતા. ગઢડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારનો કબજો લીધો હતો અને સંજયભાઈ ચૌહલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર તપાસમાં ગઢડા પોલીસે સતર્કતા, મહેનત અને ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસની આ કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં બનેલી લૂંટની ઘટનામાં, એલસીબી પોલીસે છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ એક વૃદ્ધ દંપતિ પર હુમલો કરીને લૂંટ ચલાવી હતી. ગત ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં હીરુબેન કાનાભાઈ અને કાબાભાઈ ભીખાભાઈ અજુડિયા નામના વૃદ્ધ દંપતિ પોતાની વાડીએ સૂતા હતા. તે સમયે કેટલાક લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો. હીરુબેનના કપાળના ભાગે પથ્થર મારી લોહી કાઢી, તેમના કાનમાંથી આશરે 60,000 રૂપિયાની કિંમતના બે તોલા સોનાના કાપ (બુટી) ખેંચી લીધા હતા. આ ઉપરાંત, લૂંટારુઓએ ઘરની અંદર રહેલી તિજોરીનો લોક તોડી તેમાંથી આશરે 5000 રૂપિયાની કિંમતની એક ચાંદીની વીંટી અને બે ચાંદીની બંગડી પણ ચોરી લીધી હતી. આમ, કુલ 65,000 રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવીને તેઓ નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે વીરાંગભાઈ અજુડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ લૂંટના બનાવની તપાસ દરમિયાન, એલસીબી સ્ટાફને બાતમી મળી હતી. કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી, કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે લૂંટ કરનાર અને તેમાં મદદ કરનાર છ પુરુષો લૂંટના મુદ્દામાલ સાથે નાઘેડી ગામ, જી.આઈ.ડી.સી. વિસ્તાર, જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના કોમ્યુનીટી હોલ સામે ઊભેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુલ 6.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા આરોપીઓમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અરજણભાઈ વારોતરીયા (ઉંમર ૫૬, રહે. નાઘેડી ગામ, જામનગર), ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા (રહે. નાઘેડી ગામ, જામનગર), નારણભાઈ વિરાભાઈ હુણ (રહે. મોટા પાંચદેવડા ગામ, કાલાવડ), મુન્નાભાઈ અમરૂભાઈ ભાભર (રહે. મોડપર ગામ, લાલપુર, મૂળ મધ્યપ્રદેશ), સાગરસિંગ રાયસીંગ અલાવા (રહે. મોડપર ગામ, લાલપુર, મૂળ મધ્યપ્રદેશ) અને પંકજભાઈ ભારતભાઈ બિલવાલ (રહે. મોડપર ગામ, લાલપુર, મૂળ મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. પોલીસે વધુ કાર્યવાહી માટે આ આરોપીઓને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ - બીલાલ રકસીંગભાઈ વસુનીયા (રહે. છોટીઉરી ગામ, આલીરાજપુર), ભવાનભાઈ જીથરાભાઈ ધાવડ (આદિવાસી, રહે. ભુજ, મૂળ મધ્યપ્રદેશ) અને અશોકભાઈ બાવાભાઈ વસોયા (રહે. તરઘડીયા ગામ, રાજકોટ) ને પકડવા માટે પોલીસે શોધખોળ ચાલુ રાખી છે.
ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે આવેલી હજારીયાની વાડીના એક રૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાની ઓળખ ચંપાબેન સતીષભાઈ વસાવા તરીકે થઈ છે. ચંપાબેન તેમના પતિ સતીષ વસાવા સાથે આ વાડીમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને પીએસઆઈ જયદેવ હેરમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલાનો પતિ સતીષ વસાવા સ્થળ પર હાજર ન હોવાથી પોલીસને તેના પર હત્યાની શંકા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભરૂચ SOGએ આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ કર્યો:ત્રણની ધરપકડ, અફીણ અને મેફેડ્રોનનો જથ્થો જપ્ત
ભરૂચ SOGએ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ભરૂચના ચાવજ ગામ સીમા વિસ્તારમાં એક ફ્લેટમાંથી નશાકારક પદાર્થોનો જથ્થો રાખી વેચાણ કરતી ત્રણ વ્યક્તિઓની ધરપકડ થતાં આંતરરાજ્ય નશા રેકેટનો પર્દાફાશ થયો છે. ભરૂચ SOG ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયા અને તેમની ટીમે આ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. એ.એસ.આઈ. રવિન્દ્રભાઈ નુરજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે 'અનુજ રેસીડેન્સી'ના ફ્લેટ A-304 પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોઇ, મહિપાલ કૃષ્ણારામ બિશ્નોઇ અને પ્રદીપ રાજુરામ બિશ્નોઇને તેમના ભાડાના મકાનમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) અને ઓપીએટ (અફીણ)ના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનના લોહાવટ વિસ્તારમાં રહેતા સંજય બિશ્નોઇ પાસેથી નશાકારક પદાર્થો મેળવી ભરૂચમાં છૂટક વેચાણ કરતા હતા. સંજય બિશ્નોઇ હાલ વોન્ટેડ છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,90,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 35.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. 1,05,810), 27.28 ગ્રામ ઓપીએટ (અફીણ) (કિંમત રૂ. 13,640), પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ. 55,000) અને રૂ. 15,700 રોકડાનો સમાવેશ થાય છે.આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર 'C' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 22(b), 18(c) અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાનાં ભાલ પંથકમાં આવેલ ભાણગઢ ગામનો મુખ્ય કોઝ-વે તૂટી ગયો છે, જેના કારણે ગ્રામજનો લાંબા સમયથી હોડીનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ભાણગઢ ગામથી પાળીયાદ જવાના માર્ગ ઉપર કોઝ-વે તૂટી જતા કાળુભાર નદીનું પાણી આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ભાણગઢ ગામની વસ્તી 500થી વધુ છે, જેઓ પાળીયાદ, દેવળીયા, વલ્લભીપુર જવા માટે તરાપા હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતો આ કોઝ-વે હતો. આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાનના અધિકારી જણાવ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં 3 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ જશે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા ભાનગઢ તેમજ ભાલ પંથકના દેવળીયા પાળીયાદ સહિતના ત્રણ ગામ ચોમાસા દરમ્યાન સંપર્ક વિહોણા બને છે, ઘાંઘળીથી ભાનગઢ વચ્ચે ખારી અને રંઘોળી નદી તેમજ ભાણગઢ અને પાળીયાદ વચ્ચેથી કાળુભાર નદી વહી રહી છે.ભારે વરસાદના કારણે નદીના ભારે વહેણ આજુબાજુના વિસ્તારોમાં પથરાઈ જતા રસ્તા પર પાણી ફરી વળે છે, જેના કારણે ઘાંઘળીથી ભાણગઢ જવાનો માર્ગ બંધ થઈ જાય છે, જયારે એજ સ્થિતિ હાલ ભાણગઢ અને પાળિયાદ વચ્ચેથી વહેતી કાળુભાર નદીના કારણે સર્જાય છે. આજુબાજુના ગામના લોકો હોડીના સહારે અવરજવર કરવા મજબુર બન્યાવર્ષ 2023માં બનાવવામાં આવેલો કોઝ-વે નબળી કામગીરીના કારણે ત્રણ માસ જેવા સમયગાળામાં જ ભારે વરસાદ વરસતા ધસમસતા પાણીના વહેણમાં ધોવાઈ ગયો, જે બાદ તંત્ર દ્વારા કામચલાઉ રીપેરીંગ કરવામાં આવતા 2025 દરમિયાન ફરી ભારે વરસાદી પાણીના વહેણ ને લઈને માટીનું ધોવાણ થઈ જતા બાકી બચેલા કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થઈ જતા આજુબાજુના ગામના લોકો હાલ માત્ર તરાપા જેવી હોડીના સહારે જીવના જોખમે અવરજ્વર કરવા મજબુર બન્યા છે, સામે કાંઠે ખેતરો ધરાવતા ખેડૂતોને દિવસમાં 3થી 4 વાર નદી પાર જવું પડે છે, જયારે આજુબાજુના ગામમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા માટે તરાપા જેવી હોડીના સહારે નદી પાર કરી જવું પડી રહ્યું છે. બ્રિજ બને એ પૂર્વે વહેલી તકે અમને અહીં ડાયવર્ઝન બનાવી આપેઆ અંગે ભાણગઢ ગામના રહેવાસી કાળુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, હાલ જે આ રસ્તો છે. તે અમારા માટે મુખ્ય માર્ગ છે, પાળીયાદ, દેવડીયા, રાજપરા અને અનંતપર જવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ, નદીમાં પાણીની ઊંડાઈ વધારે હોવાના કારણે લોકોને અહિંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે તરાપા જેવી બોટના સહારે જવું પડે છે. સરકારને વારંવાર અપીલ કરવા છતાં પણ આ કોઝ-વેનું નિર્માણ કરવામાં આવ્યું નથી. વરસાદના કારણે ધોવાણ થઈ ગયા બાદ કોઝ-વે તોડી પાડવામાં આવ્યો છે અને ડાયવર્ઝન પણ પાણી આવવાના કારણે ધોવાઈ ગયો છે. તેની કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી. ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ કે બ્રિજ બને એ પૂર્વે વહેલી તકે અમને અહીં ડાયવર્ઝન બનાવી આપે, જેથી અવરજવર કરવામાં મુશ્કેલી ના પડે. અમારે નીકળવું ક્યાંથી?પાળીયાદ ગામના રહેવાસી સુરેશભાઈ એ જણાવ્યું હતું કે, હવે આ હોડકામાં ઉતરીએ ત્યારે બીતા બીતા ઉતરીએ છીએ અને અહીંયા બે-ચાર જણા ડૂબી પણ ગયા છે. અમારે સિહોર જવું હોય ધાંઘળી જવું હોય તો છેક 20- 25 કિમી ચમારડી થઈને ફરી ફરીને જવુ પડે છે, અહીં ક્યાંય સારા રસ્તા નથી. નાળા કર્યા એ પણ અધૂરા રાખ્યા તો એનું કરવું શું. બીજું તો અહીં પાણી જુઓ તો બે-બે ત્રણ-ત્રણ છોકરાઓ લઈ ઉતરવું, સીમમાં વાવવા જવું હોય તો અમે કઈ રીતે જઈએ. વાવી નથી શકતા સરકાર જ્યાં હોય ત્યાં એમ કહે છે કે, અહીંયા નાળા બાંધી દીધા, અહીંયા બાંધી દીધા. એકેય જગ્યાએ નાળા નથી થતા તો કરવું શું. અમારે નીકળવું ક્યાંથી? ત્રણ ગામોમાં માવઠા પછી હજુ સુધી પાણી ઉતર્યું નથીઆ અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના અધિકારી અજીત ઝા એ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ભાલ પંથકના ત્રણ ગામોમાં માવઠા પછી હજુ સુધી પાણી ઉતર્યું નથી. જેના કારણે ત્યાં ત્રણ ગામમાં ભાણગઢ, દેવડીયા અને પાળીયાદ જે ગામોમાં અવરજવર માટે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ત્યાં અંદાજે ત્રણ કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે. જે 60 મીટર પહોળો છે. અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે. અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ.
સુરેન્દ્રનગર ગુરુકુલમાં ગીતા જયંતીની ઉજવણી:વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન માટે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ ગીતાજીનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાન કર્યું હતું. આ ઉપરાંત, ગીતા મહાત્મ્યનું વાચન અને ગીતા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. ગુરુકુલના આચાર્યે ગીતાને જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ ગણાવ્યો હતો. આ પ્રસંગે ગીતા પારાયણ, ધ્યાન, ભજન-કીર્તન અને પ્રવચનો દ્વારા આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગુરુકુલના સંચાલક પૂ. આનંદપ્રયસ્વામીજીએ નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ પર પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગીતા યુવાનોને યોગ્ય નિર્ણય લેવા અને મુશ્કેલીઓમાં સ્થિર રહેવાની શક્તિ પ્રદાન કરે છે. કાર્યક્રમના સમાપનમાં, ગુરુકુલના આચાર્યે વિદ્યાર્થીઓને ગીતાના ઓછામાં ઓછા એક શ્લોકને જીવનમાં અપનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની આ પ્રકારની ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમમાં સુરત ગુરુકુલના સંત શ્રી શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગીતાના જીવનમાં ઉપયોગીતા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. 800થી વધુ વિદ્યાર્થીઓ અને તમામ કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ગીતા જયંતી અને એકાદશી એક જ દિવસે હોવાથી 700થી વધુ બાળકોએ ઉપવાસ કર્યો હતો. કાર્યક્રમનું સમાપન સમૂહ આરતી અને પ્રસાદ વિતરણ સાથે થયું હતું.
ગોધરામાં ચોરી, ઘરફોડ, મારામારીના ત્રણ ગુના:પોલીસે અલગ અલગ કેસ નોંધી તપાસ શરૂ કરી
ગોધરા શહેરમાં ગુનાખોરીના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ સોસાયટીમાંથી મોબાઈલ ચોરી, ભુરાવાવમાં જન્માષ્ટમીની અદાવતમાં મારામારી અને માણેક પાર્ક સોસાયટીમાં ૭૨ હજારથી વધુની ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મુસ્લિમ સોસાયટીમાં છૂટક વેપાર કરતા મોહમ્મદ સહદ ફારૂકના ઘરેથી મોબાઈલ ચોરીનો બનાવ બન્યો હતો. ગત તા. ૦૧/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યો તસ્કર તેમના રૂ. ૮,૦૦૦ ની કિંમતના રેડમી નોટ ૧૩ મોડલના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરાયેલા મોબાઈલમાં એરટેલ અને જીઓ કંપનીના સીમકાર્ડ હતા. ફરિયાદીએ મોબાઈલની શોધખોળ કર્યા બાદ પણ પત્તો ન લાગતા આખરે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી હેડકોન્સ્ટેબલ ભારતસિંહ બુધાભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજો બનાવ ગોધરા શહેરના ભુરાવાવ એસ.ટી. નગરમાં બન્યો હતો, જ્યાં જન્માષ્ટમી પર્વની જૂની અદાવત રાખીને પાડોશમાં રહેતા દંપતીએ ફરિયાદીના પુત્રવધૂ સાથે તકરાર કરી હુમલો કર્યો હતો. આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રેખાબેન મહેન્દ્રભાઈ રાવલના પુત્રવધૂ ગત તા. ૦૨/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના સમયે ઘરે હતા ત્યારે પાડોશી નિરૂબેન શાંતિલાલ વણકર અને શાંતિલાલ વણકર તેમના ઘરે આવ્યા હતા. ડોરબેલ વગાડતા પુત્રવધૂ બહાર આવતા જ નિરૂબેન ઉશ્કેરાઈ ગયા હતા અને જન્માષ્ટમી વખતનો ગુસ્સો હોવાનું કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. મામલો ઉગ્ર બનતા નિરૂબેને પુત્રવધૂનો ચોટલો પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે સાથે આવેલા શાંતિલાલે ધમકી આપતા કહ્યું હતું કે, તમે હજુ સુધી કેમ ઘર ખાલી કરી અહીંથી ગયા નથી જો નહીં જાઓ તો જાનથી મારી નાખીશું. રેખાબેન રાવલે આ અંગે ફરિયાદ નોંધાવતા વુમન હેડ કોન્સ્ટેબલ ગીતાબેન વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજો બનાવ ગોધરાના બામરોલી રોડ પર આવેલી માણેક પાર્ક સોસાયટીમાં નોંધાયો છે. અહીં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કુલ રૂ. ૭૨,૭૫૦ ની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. હીનાબેન સુલક્ષિસ ચૌહાણના મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. ચોરાયેલા મુદ્દામાલમાં સોનાની બે બંગડી (રૂ. ૧૫,૦૦૦), સોનાની બે કડી (રૂ. ૨૫,૦૦૦), ચાંદીના છડા, વેડ, પાયલ, કડલી અને વીંટી જેવા દાગીના તેમજ રોકડા રૂ. ૨૦,૦૦૦ નો સમાવેશ થાય છે. આ બનાવ અંગે હીનાબેન ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી પી.એસ.આઈ. આર.એસ. દેવરે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
દારૂબંધીનુ ચુસ્ત પાલન:PCB એ 5 દિવસમાં 9 રેડ કરી,11 લાખથી વધુનો દારૂ ઝડપાયો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે PCB દ્વારા શહેરમાં પાંચ દિવસમાં અલગ-અલગ 9 જગ્યાએ રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમિયાન પોલીસે અલગ અલગ જગ્યાએથી 11 લાખથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.પોલીસે આ રેડ દરમિયાન 10 આરોપીઓની પણ ધરપકડ કરી છે. PCBએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ 2થી 6 ડિસેમ્બર રેડ કરી હતી. આ રેડ દરમિયાન દરિયાપુર,નારોલ, નિકોલ,સાબરમતી,ખોખરા,વટવા,કાગડાપીઠ, રિવરફ્રન્ટ ઇસ્ટ અને નરોડા સહિતના વિસ્તારમાંથી ઈંગ્લીશ અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધી 1006 આરોપીને પાસા કરવામાં આવી5 દિવસમાં 833 લીટર દેશી દારૂ, 2012 વિદેશી દારૂની બોટલ મળી કુલ 11.66 લાખનો દારૂ કબ્જે કર્યો છે.પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 12 આરોપીઓ ફરાર છે. આ ઉપરાંત વર્ષની શરૂઆતથી અત્યાર સુધી 1006 આરોપીને પાસા કરવામાં આવી છે જ્યારે 218 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે.
નવસારીની એબી સ્કૂલમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ વાર્ષિક સમારોહનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા બે નાટકો હતા: 'અસ્તિત્વ કી ખોજ' અને 'કર્મ કી ગુંજ'. 'કર્મ કી ગુંજ' નાટક દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ નાટકે સારા કાર્યો કરવા અને તેના પરિણામોનો અનુભવ કરવાનો સંદેશ આપ્યો. 'અસ્તિત્વ કી ખોજ' નાટક પર્યાવરણના અસ્તિત્વને બચાવવા અંગે જાગૃતિ લાવવા પર કેન્દ્રિત હતું. તેણે કુદરતી વાતાવરણનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ નાટકોમાં ભાગ લેવાથી નાના વિદ્યાર્થીઓએ માત્ર મંચ પર પ્રદર્શન જ ન કર્યું, પરંતુ આ સામાજિક સંદેશાઓનું મહત્વ પણ સમજ્યા અને દર્શકો સુધી પહોંચાડ્યું. એબી સ્કૂલના પ્રિન્સિપાલ તેજલ પારેખે વાર્ષિકોત્સવના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો. તેમણે જણાવ્યું કે બાળકોને 'આમ ન કર' કે 'તેમ ન કર' કહેવાને બદલે, જો તેઓ વસ્તુઓ જાતે અનુભવે તો વધુ સારી રીતે શીખી શકે છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોને માત્ર માર્ક્સ નહીં, પરંતુ પોતાની જાતને ઓળખવા અને તેમના ભાવનાત્મક વિકાસને પણ મહત્વ આપવાનો હતો. શાળાના ટ્રસ્ટી ભાવના બોડાએ એબી સ્કૂલની 15 વર્ષની સફળતા પર ખુશી વ્યક્ત કરી. તેમણે શાળાની 15 વર્ષની સફળતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના એક ગામમાં એક મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ તેના કાકા સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બની હતી. શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, 5મી ડિસેમ્બર, 2025ના રોજ બપોરના સમયે ફરિયાદી 26 વર્ષીય મહિલા ખેતરમાં આવેલા છાપરામાં એકલા ઘરકામ કરી રહ્યા હતા. તેમના પતિ અને પુત્ર જીરાના પાકમાં નાખવાની દવા લેવા માટે મોટરસાયકલ લઈને ગામમાં ગયા હતા. આ દરમિયાન, ગામના રહેવાસી અને મહિલાના કુટુંબી કાકા સસરા છાપરા પાસે આવ્યા અને મહિલાના પતિ ક્યાં છે તે પૂછ્યું. મહિલાએ તેમના પતિ અને પુત્ર ગામ ગયા હોવાનું જણાવતા, આરોપી છાપરાની આગળ બેસી ગયો. જ્યારે મહિલા છાપરામાં ઘરકામ કરી રહી હતી, ત્યારે આરોપીએ છાપરામાં પ્રવેશ કર્યો. તેણે મહિલાની એકલતાનો લાભ લઈને તેમનો હાથ પકડી બળજબરીપૂર્વક ખેંચવાનો પ્રયાસ કર્યો. મહિલાએ તેમને રોકતા અને પોતે તેમના કાકા સસરા થતા હોવાનું યાદ અપાવતા પણ આરોપીએ બાથ ભીડવાનો પ્રયાસ કર્યો. મહિલાએ ધક્કો મારી બુમાબુમ કરતા તે છાપરા બહાર નીકળી ગઈ અને જોરજોરથી રડવા લાગી. બુમાબુમ સાંભળીને આરોપી ત્યાંથી જતો રહ્યો. જતા પહેલા તેણે મહિલાને ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ. મહિલાએ તાત્કાલિક તેમના પતિને ફોન કરીને ખેતરે બોલાવ્યા. પતિના આવ્યા બાદ મહિલાએ તેમને સમગ્ર ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેમણે આ બનાવ બાબતે તેમના સસરાને પણ જાણ કરી. ખેતરમાં કામ હોવાથી અને રાત્રે મોડું થતાં, બીજા દિવસે 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ મહિલા તેમના પતિ અને કુટુંબી કાકા સસરા સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 74, 351(3), અને 329(3)(i) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓલમ્પિકની યજમાની પણ અમદાવાદને મળવાનો દાવો અમદાવાદ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2036 ઓલમ્પિક્સ માટે અમદાવાદને તૈયારી રાખવા હાકલ કરી.. તેમણે અમદાવાદને 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એરપોર્ટ પરથી જ કરી શકાશે ટ્રેનની ટિકિટ બુક પાછલા ચાર દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો ક્રાઈસીસ વચ્ચે હવે ભારતીય રેલવે મુસાફરની વ્હારે આવ્યું.. અમદાવાદ એરપોર્ટ પરથી જ મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરી શકશે. આ માટે એરપોર્ટ પર આજથી ત્રણ દિવસ માટે IRCTCનું હેલ્પડેસ્ક શરુ કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા કોલ્ડવોરનો અંત આવ્યો. ખોડલધામમાં યોજાયેલા કાર્યક્રમમાં બંને હળવા મુડમાં સાથે દેખાયા. જયેશ રાદડિયાએ કહ્યું, ખોડલધામ સમાજનું ગૌરવ છે, રાદડિયા હોય કે ન હોય , ખોડલધામ રહેવાનું જ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 9 પાસ ભેજાબાજ નકલી ફોન પે એપથી છેતરતો જૂનાગઢમાં એટીએમ પાસે લોકો પાસે કેશ લઈ તેમને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપવાનું કહી છેતરતો યુવક ઝડપાયો.9 પાસ ભેજાબાજ કેશ લઈ, નકલી ફોન પેથી પૈસા ટ્રાન્સફર કરતો અને પેમેન્ટ સકસેસફૂલ થયાનો ફેક મેસેજ બતાવી પૈસા પડાવતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી કિન્નર બનીને આવેલા બે પુરુષો ઝડપાયા બારડોલીમાંથી પકડાયા બે નકલી કિન્નર. શંકા જતા સ્થાનિકોએ અસલી કિન્નરોને બોલાવતા બે પુરુષોને મેથીપાક ચખાડી, પોલીસને સોંપ્યા. લગ્નપ્રસંગમાં પૈસા પડાવવા રાજકોટના પુરુષો નકલી કિન્નર બન્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૂર્યકિરણ ટીમના એર-શોએ લોકોને દંગ કર્યા રાજકોટમાં આજે સૂર્યકિરણ ટીમનો એર-શો યોજાયો. જેમાં આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા તો ગરુડ કમાન્ડોએ હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યૂનો ડેમો આપ્યો જે જોઈને રાજકોટવાસીઓ દંગ રહી ગયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચપ્પુના 5 ઘા મારી યુવકની હત્યા કરી દેવાઈ સુરતમાં સચિન GIDCમાં યુવકની ચપ્પુના 5 ઘા મારી હત્યા કરી, ગેટ આગળ ફેંકી દીધો.. પિતાએ હૈયાફાટ રુદન કરતાં કહ્યું મારી દુનિયા તો ખતમ થઈ ગઈ, એક જ કમાનારો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિવરફ્રન્ટ પર BAPSનો 'પ્રમુખ વરણી મહોત્સવ અમદાવાદ રિવરફ્રન્ટ પર આજે યોજાવા જઈ રહ્યો છે BAPSનો 'પ્રમુખ વરણી મહોત્સવ'..પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતા આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 150 ફૂટ ઊંડાઈએ ફસાયેલા યુવકનો મૃતદેહ મળ્યો ભૂજના કુકમામાં શનિવારે બોરવેલમાં 150 ફૂટ ઊંડાઈએ ફસાયેલા યુવકનો 9 કલાકે મૃતદેહ મળ્યો.,ગરગડીથી યુવકના કપડામાં હુક ભરાવી તેને બહાર તો કઢાયો, પણ તેને બચાવી ન શકાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરતીનું પાણી વધી જતા બોટ પલટી ભરુચના જંબુસરના આસરસા ગામ નજીક એક બોટ પલટી ખાઈ ગઈ. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ. બોટ પર 23 કામદાર સવાર હતા.ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બોટાદના ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓ અને તાલુકા મથકો પરથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપનો ગઢ ગણાતા અમરેલીમાં AAPની આ પ્રથમ સભાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સભા દરમિયાન મોટાભાગના નેતાઓએ બોટાદ કડદાકાંડ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે સત્તાધારી પક્ષ સામે આક્રમક રીતે અવાજ ઉઠાવ્યો હતો અને વિવિધ આક્ષેપો કરીને સંવાદ કરતા જોવા મળ્યા હતા. ઉપસ્થિત રહેલા અન્ય મુખ્ય નેતાઓમાં મનોજ સોરઠીયા, રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી અને જિલ્લા AAP પ્રમુખ નિકુંજ સાવલિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તાલુકા મથકના AAPના વિવિધ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
સુરતના સચિન ગભેણી વિસ્તારમાં ચાર દિવસ પહેલા ઘરમા ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા. ચાર પૈકી બે યુવતીના સારવાર દરમિયાન સિવિલ હોસ્પિલટમાં મોત થયા હતા. જેના પગલે બે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલી બે યુવતીઓના સારવાર દરમિયાન મોતસચિનના ગભેણી રોડ પર બરફ ફેકટરી પાસે ગુરુકૃપા સોસાયટીમાં રહેતી 22 વર્ષીય ભાગ્યશ્રી હરીભાઈ પોલાઈ ગત 2 ડિસેમ્બરે સવારે ઘરમાં ગેસના ચુલા ઉપર રસોઈ બનાવવા જઈ રહી હતી. દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા ફ્લેશ ફાયર થયા બાદ જોરદાર ભડકો થતા આગ લાગી હતી. જેમાં ભાગ્યશ્રી, તેની બહેન રિન્કી (ઉ.વ-19) તથા પડોશી સાલુ રામકિશોર પાલ (ઉ.વ-22) આગની ઝપેટમાં આવતા વધુ દાઝી ગયા હતા અને હરીઓમ સામાન્ય દાઝયો હતો. વધુ દાઝેલી બે બહેન અને એક યુવતનીને સારવાર માટે 108 મારફત નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન શાલુ અને રિન્કીનું મોત નીંપજયું હતું. તે મુળ ઓડિશાના ગંજામની વતની હતા. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. બંને યુવતીઓના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. 2 ડિસેમ્બરે સવારના સમયે બનાવ બન્યો હતોસચિન ગભેણી રોડ ખાતે આવેલ ગુરુકૃપા સોસાયટીના પ્લોટ નંબર 327ના ત્રીજા માળે રૂમ નંબર 32માં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ગત 2 ડિસેમ્બર સવારે ફ્લેશ ફાયર થયું હતું. જોત જોતામાં ઘરની અંદર ધડાકા સાથે આગ લાગી ગઈ હતી.આગ એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે ત્રણ યુવતી ગંભીર રીતે અને એક પુરુષ સામાન્ય દાઝી ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. ગુરુકૃપા સોસાયટીમાં હરિભાઈ પોલાઈ તેની બે પુત્રી ભાગ્યશ્રી (ઉ.વ.22) અને રિન્કી (ઉં.વ.19) સાથે રહે છે અને સંચા ખાતામાં કામ કરી ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત 2 ડિસેમ્બર સવારે બંને બહેન જમવાનું બનાવતી હતી, ત્યારે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી શાલુરામ મોહન (ઉ.વ.22) આવી હતી. ત્રણેય યુવતી જમવાનું બનાવતી હતી, ત્યારે ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. આગ લાગવાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્રણેય યુવતી શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી અને એક પુરુષને સામાન્ય ઇજા થઇ હતી. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી. સાથે જ દાઝેલી ત્રણેય યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બનાવના પગલે સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બંને બહેન સહિત ત્રણેય યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. સાલુ અને રિન્કી 60થી 70 ટકા જેટલી દાઝી હતી. જ્યારે ભાગ્યશ્રી 40થી 50 ટકા જેટલી દાઝી છે. સાલુ અને રીન્કી શરીરે વધારે દાઝી હોવાથી સ્થિતિ નાજુક હતી. જેથી સિવિલમાં બન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન ચાલુ અને રીન્કી નું મોત નીપજ્યું હતું. જ્યારે હાલ ભાગ્યશ્રી ની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના ત્રિ-દિવસીય રાજકોટ પ્રવાસ પૂર્વે દિલ્હીના પૂર્વ મંત્રી તથા AAP ધારાસભ્ય ગોપાલ રાય રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે મોટું એલાન કર્યું કે, આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી લડશે. ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાવિસાવદર પેટાચૂંટણીની જીત બાદ રાજ્યમાં 13 હજારથી વધુ સભાઓ કરીને પાર્ટીએ નવો જોશ ભર્યો છે અને 2027માં ગુજરાતમાં પરિવર્તન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિસાવદરમાં ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકવાની ઘટનાને ભાજપની પોલીસ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું હતું. AAP દ્વારા ગુજરાત જોડો યાત્રા અને કિસાન આંદોલન કરાઈ રહ્યું છેઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ પધારવાના છે ત્યારે દિલ્હીના AAPના ધારાસભ્ય ગોપાલ રાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત સહિતની સીટો ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડશે. AAP દ્વારા ગુજરાત જોડો યાત્રા અને કિસાન આંદોલન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે આંદોલનકારી જેલમાંથી છૂટીને બહાર આવ્યા તેનો સન્માન કાર્યક્રમ હડદડમાં ખેડૂત આંદોલન બાદ 85 લોકો ઉપર FIR દાખલ કરવામાં આવી. જેથી, રાજકોટ આવી રહેલા અરવિંદ કેજરીવાલ આ લોકોને મળશે. જે આંદોલનકારી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, તેનો સન્માન કાર્યક્રમ કાલે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા આંદોલનકારીઓ કે જેઓ જેલમાં છે તેમના પરિવારજનોને અરવિંદ કેજરીવાલ મળશે. પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવાની તાકાત બતાવી તેમણે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને ડરી ગયું છે. વિસાવદરની ચૂંટણીમાં AAPના ગોપાલ ઇટાલીયા જીત્યા બાદ ગુજરાતમાં એક નવો જ મહોલ ઉભો થયો છે. અત્યાર સુધી એવું હતું કે ભાજપ કોંગ્રેસના નેતાઓને તોડે અને ચૂંટણી જીતી જાય પરંતુ, પ્રથમ વખત પેટા ચૂંટણીમાં એવું બન્યું કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવવાની તાકાત બતાવી છે. વિસાવદર બાદ પુરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા 13000 જેટલી સભાઓ કરવામાં આવી. ભાજપ-કોંગ્રેસમાં હોડ કોણ AAPને વધુ ગાળો આપશેબોટાદના હડદડમાં કિસાન સભા દરમિયાન લાઠી ચાર્જ થયો, આંસુ ગેસ છોડવામાં આવ્યા, લોકોના ઘરના દરવાજા તોડવામાં આવ્યા અને ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા પરંતુ ત્યારબાદ ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે. જે બાદ સુદામડા ગામમાં ખેડૂતો ખુલીને સામે આવ્યા અને સરકારનો વિરોધ કર્યો. હાલ એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાત છોડો આંદોલન કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં એવી હોડ લાગી છે કે કોણ સૌથી વધુ ગાળો આમ આદમી પાર્ટીને આપશે. જનતા વર્ષ 2027માં પરિવર્તન લાવશે તે નક્કી છેતેમણે જણાવ્યું કે, તે નર્મદામાં અમારા જિલ્લા અધ્યક્ષ પર હૂમલો થયો. ત્યારબાદ ભરૂચ અને મહેસાણામાં અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો પરંતુ, જામનગરમાં ભાજપની પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાનું જોઇન્ટ એક્શન જોવા મળ્યું. રાહુલ ગાંધી જે રીતે કહે છે કે, અડધી કોંગ્રેસ ભાજપની છે. આ રીતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી મળીને કઈ રીતે આમ આદમી પાર્ટીને રોકી શકાય તે માટેનું ષડયંત્ર રચી રહી છે પરંતુ, જનતા વર્ષ 2027માં પરિવર્તન લાવશે તે નક્કી છે. ગુજરાત સરકાર ખેડૂતોને વળતર નહીં આપે તો આ કિસાન આંદોલન ઉગ્ર બનશેતેમણે જણાવ્યું કે, પંજાબમાં ખેડૂતોનું જે નુકસાન થયું તે બદલ તમામ ખેડૂતોને ₹50,000 પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવે છે. જોકે, ભાજપ સરકારે પેકેજ તો આપ્યું જ નહીં પરંતુ જે સહાયની વાત છે એ પણ ખેડૂતોને મળી નથી. ખેડૂતો લાઈનોમાં ઊભા છે અને હેરાન થઈ રહ્યા છે. ગુજરાત સરકાર ખેડૂતોને વળતર નહીં આપે તો આ કિસાન આંદોલન ઉગ્ર બનશે. જ્યારે SIRની કામગીરી ઈમરજન્સીમાં શા માટે કરવામાં આવી રહી છે શિક્ષકો દબાવમાં છે અને આપઘાત કરી રહ્યા છે તે યોગ્ય નથી.
ગોધરા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મતદાર સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુસર, કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ બૂથ મથકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કાર્યકરોએ બૂથ લેવલ ઓફિસરો (BLO) સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે BLO દ્વારા તૈયાર કરાયેલી પ્રિ-ડ્રાફ્ટ યાદી અને ખાસ કરીને ASD (એબસન્ટ, શિફ્ટેડ, ડેડ) યાદીની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ ચકાસણીનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવાનો હતો. કોંગ્રેસના કાર્યકરોએ એક જાગૃત નાગરિક તરીકે મતદારો અને સ્થાનિક પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, લોકશાહીના હિતમાં પક્ષપાતથી ઉપર ઉઠીને, કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં ઉપસ્થિત અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ લોકશાહીને સુદ્રઢ બનાવવા અંગે ઉપયોગી અને સકારાત્મક ચર્ચાઓ કરી હતી.
મોરવા હડફ: ખેડૂતની જમીન પચાવી પાડનાર બે સામે ગુનો:લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ગામે એક ખેડૂતની દસ્તાવેજથી ખરીદેલી જમીનનો કબજો ન સોંપી, તેને પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે. આ મામલે ખેડૂતને જાતિવાચક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ગંભીર બનાવ અંગે મોરવા પોલીસ મથકે બે વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના છાપટ ફળિયા, કાંકણપુર રોડ પર રહેતા વિનોદભાઈ વશરામભાઈ મકવાણાએ વર્ષ ૨૦૧૭માં મોરવા હડફના સાલિયા ગામે વિવિધ સર્વે નંબરની ખેતીલાયક જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીન મહેસૂલી રેકર્ડમાં તેમના અને સાહેદ જાગીશાબેન પટેલના નામે નોંધાયેલી છે. જોકે, સાલિયા ગામના રાજુભાઈ ભારતસિંહ પટેલ અને કનુભાઈ ભારતસિંહ પટેલે આ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. જ્યારે પણ ફરિયાદી પોતાની માલિકીની જમીનમાં ખેતી કરવા જતા, ત્યારે આરોપીઓ તેમને અટકાવતા હતા. આરોપીઓએ ફરિયાદીને જાતિવાચક અપમાનિત શબ્દો કહી, અહીંથી જતા રહો નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ આપી હતી. આ મામલે ફરિયાદીએ રજૂઆત કરતા પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કમિટીના હુકમ બાદ મોરવા પોલીસ મથકે બંને આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ) તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) બી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.
જામનગરમાં ક્રિકેટ રમતા યુવાનનું હૃદય બંધ પડ્યું:32 વર્ષીય રાહુલ ચૌહાણનું અચાનક અવસાન, પરિવારમાં શોક
જામનગરમાં રવિવારે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષીય યુવાન રાહુલ રમેશભાઈ ચૌહાણનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં રવિવારની રજાના દિવસે કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. રાહુલ ચૌહાણ પણ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો હતો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેનું હૃદય બંધ પડી ગયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવને પગલે તેના મિત્રો અને આસપાસના લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારના એકમાત્ર આધારસ્તંભ એવા રાહુલ ચૌહાણના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડદેવડને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 8000 રૂપિયાનું બાકી બિલ ન ચૂકવવા બદલ એક કેફે માલિકનું અપહરણ કરી તેને બે યુવાનો દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. અપહરણ અને માર મારતા સમયનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. 8000ના બાકી બિલની ઉઘરાણીએ ગયેલા કેફે માલિક સાથે મારામારીઆ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મેડિનિયન કેફેના માલિક સાથે બની હતી. 23 વર્ષીય કેફે માલિક જસ્મિન વાગાણીએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર FIR નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓમાંનો એક યુવાન, વિવેક જૈન, છેલ્લા બેથી ત્રણ મહિનાથી કેફેનું આશરે ₹8,000નું બિલ ચૂકવ્યા વિના બાકી રાખતો હતો. જસ્મિન વાગાણી છેલ્લા ઘણા દિવસોથી વિવેકને ફોન કરીને આ બાકી રકમ ચૂકવી દેવા વિનંતી કરી રહ્યા હતા. આરોપીઓ માર માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યોબિલની ઉઘરાણી કરવાથી ગુસ્સે ભરાયેલા વિવેક જૈને પોતાના મિત્ર દીપક જૈન સાથે મળીને એક યોજના બનાવી. બંને યુવાનોએ જસ્મિન વાગાણીનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ, બંને આરોપીઓએ જસ્મિનને બેફામ માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પહેલા લાતો મારી અને ત્યારબાદ ગાલ પર તમાચા માર્યા હતા. આ દરમિયાન, આરોપીઓ એટલા હિંમતવાન હતા કે તેઓ પોતે માર મારતા હતા તેનો વીડિયો રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા. આ ગંભીર ઘટના બાદ કેફે માલિક જસ્મિન વાગાણીએ તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનમાં વિવેક જૈન અને દીપક જૈન વિરુદ્ધ અપહરણ અને હુમલાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ખાસ કરીને માર મારતા હોવાના વીડિયો રેકોર્ડિંગના આધારે આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વીડિયોને મુખ્ય પુરાવા તરીકે લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય સ્તરની 'યુનિટી માર્ચ – સરદાર@૧૫૦' પદયાત્રામાં પંચમહાલ જિલ્લાના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કરમસદથી શરૂ થયેલી આ યાત્રામાં ગોધરાના 'માય ભારત' સંગઠનના ૧૨૦ સ્વયંસેવકો જોડાઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ પદયાત્રાનો પ્રારંભ ગત ૨૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ આણંદના કરમસદથી થયો હતો. સરદાર પટેલના એકતા, અખંડિતતા અને શિસ્તના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના વિવિધ રાજ્યોના યુવા સ્વયંસેવકો જોડાયા હતા. યાત્રાના અંતિમ ચરણમાં ગોધરાના ૧૨૦ યુવા સ્વયંસેવકો સહભાગી બન્યા હતા. આ યુવાનોએ રાજપીપળાથી કેવડિયા સુધી પદયાત્રા કરીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામો અને શહેરોમાં યુવાનો દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ યાત્રાનું સમાપન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક સમારોહ સાથે કરવામાં આવ્યું, જ્યાં મુખ્ય અતિથિએ યુવાનોને સરદાર સાહેબના આદર્શો જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે 'માય ભારત' ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમેલે પદયાત્રામાં જોડાઈને દેશપ્રેમ વ્યક્ત કરવા બદલ પંચમહાલ જિલ્લાના તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
સુરતમાં એક બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી યુવતી અને વકીલે 50 લાખ રૂપિયાની ખંડણી માગતા ચકચાર મચી છે. બિલ્ડર પાસે 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી અને વકીલને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. શહેરના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી યુવતી દ્વારા ન્યૂડ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 50 લાખી ખંડણી માગવામાં આવી હતી. જો પૈસા ન આપે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. અંતે રૂ. 42.50 લાખ આપવાનું નક્કી થયું હતું. આ મામલે બિલ્ડરે ફરિયાદ કરતા સુરત ક્રાઈમ બ્રાંચે ટ્રેપ ગોઠવી હતી. જેમાં 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી હેતલ અને વકીલ અભિષેક શેઠીયા રંગેહાથ ઝડપાયા હતા. બિલ્ડર સાથે મિત્રતા, શરીર સંબંધ , બ્લેકમેઈલ અને ખંડણીસુરતમાં રહેતા બિલ્ડરનો વર્ષ 2022માં હેતલ બારૈયા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ તેઓ એકબીજાને હળતા મળતા હતા. હેતલને લાગ્યું કે, બિલ્ડર પૈસા પાત્ર છે તો તેના પાસેથી સારી એવી રકમ પડાવી શકાય તેમ છે. હેતલને આવેલા આ વિચાર બાદ હનીટ્રેપની શરૂઆત થઈ. હેતલ દ્વારા બિલ્ડર સાથે વાતચીત દરમિયાન સામાન્ય વીડિયો કોલ અને ન્યૂડ વીડિયો કોલ કર્યા. બિલ્ડરની જાણ બહાર કોલ રેકોર્ડીંગ કરી લીધા અને પછી ખંડણીનો ખેલ શરૂ કર્યો. ન્યૂડ વીડિયો વાઈરલ કરવાની અને દુષ્ક્રમ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી. જો ફરિયાદ ન કરવી હોય તો અંતે રૂ. 42.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા. 20 લાખનો પ્રથમ હપતો લેવા આવેલી યુવતી અને વકીલ રંગેહાથ ઝડપાયાહેતલ અને તેના સાગરિત વકીલ અભિષેક શેઠીયાએ બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો આપવા માટે VR મોલમાં આવેલા ફૂડ ઝોનમાં બોલાવ્યો હતો. બિલ્ડરે હનીટ્રેપ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસની ટીમ પણ એક્ટિવ હતી. ફૂડ ઝોનમાં બિલ્ડર પાસેથી રૂપિયા 20 લાખ રૂપિયા લઈને હેતલ અને અભિષેક શેઠિયા નીકળે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાંચે બંનેને 20 લાખની રોકડ સાથે દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ. 20.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયોસુરત ક્રાઈમ બ્રાંચે હનીટ્રેપના આ કેસમાં હેતલ વિઠ્ઠલભાઈ બારૈયા અને તેની સાથે રહેલા વકીલ અભિષેક સંજય શેઠીયાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટોળકીમાં સામે અન્ય બે આરોપીઓ વોન્ટેડ હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રૂ. 20.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડીસીપએ કહ્યું- લોકો સાવચેત રહે અને ભોગ બને તો ફરિયાદ કરતા ન ડરેહેતલ અને વકીલ અભિષેકને ખંડણી સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા બાદ ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, હેતલ અને બિલ્ડર અઢી વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં હતા. બંને વચ્ચે થયેલા ન્યૂડ વીડિયો કોલનું હેતલે સ્કીન રેકોર્ડીંગ કરી લીધું હતું. આ ઉપરાંત અમૂક જગ્યાએ બોલાવી તેના વીડિયો શૂટ કરી લીધા હતા. ત્યારબાદ બિલ્ડર પાસે 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. લોકોએ સૌ પ્રથમ તો આ પ્રકારની ગેંગનો ભોગ ન બને તે માટે સાવચેતી રાખવી જોઈએ અને જો ભૂલથી ગેંગનો ભોગ બની જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મદદ મેળવવી જોઈએ. હેતલે આ પહેલા આ રીતે કોઈને ફસાવ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના અતુલ બ્રિજ પાસે નેશનલ હાઈવે-48 પર રવિવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. NHAI દ્વારા રસ્તાની મરામત અને ડામર કામગીરી હાથ ધરાતા વાહનચાલકો અટવાયા હતા. આ કામગીરીને કારણે અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અચાનક શરૂ કરાયેલી આ કામગીરીથી અતુલથી પારડી ચાર રસ્તા સુધી હાઈવે પર સતત જામની સ્થિતિ જોવા મળી હતી. મુંબઈથી સુરત તરફ જતાં અનેક વાહનચાલકો કલાકો સુધી માર્ગમાં અટવાઈ ગયા હતા. કેટલાક વાહનચાલકો રોંગ સાઈડથી વાહન દોડાવતા જોવા મળતા ટ્રાફિક વ્યવસ્થા વધુ વણસી હતી. વરસાદને કારણે બિસ્માર બનેલા હાઈવે પર NHAIની ટીમ દ્વારા ખાડાઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીને કારણે 3 કિલોમીટરથી વધુ લાંબો જામ જોવા મળ્યો હતો, જેના પરિણામે ઇંધણ અને સમયનો બગાડ થયો હતો. વારંવારના ટ્રાફિક જામથી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. લાંબા સમય સુધી વાહનો બંધ રહેતા પર્યાવરણ અને આરોગ્ય પ્રત્યે પણ ચિંતાઓ વ્યક્ત થઈ હતી. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે NHAIના કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તાપૂર્વક અને ટકાઉ મટીરીયલનો ઉપયોગ કરીને હાઈવેનું યોગ્ય રીતે નિર્માણ કરવામાં આવે.
જામનગરમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનને એક કારચાલકે 10 મીટર સુધી ઢસડ્યો હતો. આ ઘટના ખોડીયાર કોલોની વિસ્તારમાં બની હતી, જેમાં જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફરજમાં રૂકાવટ અને હુમલા બદલ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ પરમદિવસે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. ડ્રીમ સિટી શેરી નંબર-2 માં રહેતા 22 વર્ષીય ટીઆરબી જવાન જીલ રમેશભાઈ બગડા ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. તે દરમિયાન જી.જે.-3 એન.બી. 9080 નંબરની એક કાર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે માર્ગ પર પાર્ક કરવામાં આવી હતી. જીલ બગડાએ કારચાલકને વાહન સાઈડમાં લેવા અને ટ્રાફિક અધિકારી બોલાવે છે તેમ જણાવ્યું હતું. કારચાલક સૌપ્રથમ મસાલો ખાવા નીચે ઉતર્યો હતો, પરંતુ ત્યારબાદ અચાનક કાર ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો. જીલ બગડાએ કાર રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે તેમને કાર સાથે 10 મીટર દૂર સુધી ઢસડ્યા હતા. આ ઘટનામાં ટીઆરબી જવાન જીલ બગડાને હોઠ, માથા, હાથ-પગ સહિત શરીરના અનેક ભાગો પર છાલ-છોલ સહિતની નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ફાટેલા હોઠ પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે જીલ બગડાએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જે.-3 એન.બી. 9080 નંબરની કારના ચાલક નિર્મળસિંહ ગુલાબસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઈ એમ.વી. દવેએ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 121-1, 221, 285 તેમજ એમવી એક્ટ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી કાર કબજે કરી છે અને કારચાલકને નોટિસ પાઠવી છે.
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જના રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની નૈતિક જવાબદારી હોવાનું જણાવી, આવનારી પેઢીને ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી આપવા પર ભાર મૂક્યો હતો. બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા અભિયાન ચલાવી રહી છે, ત્યારે દર્શનાર્થીઓને સ્વચ્છતા માટે જાગૃત કરવા જરૂરી છે. તેમણે પ્લાસ્ટિકના દુરુપયોગથી થતા પ્રદૂષણ અને પ્રકૃતિને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ સૌને ઘર, શેરી, ગામડાં, ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આહ્વાન કર્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ વન્યજીવો માટે જંગલ જ તેમનું કુદરતી ઘર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને વન્યજીવોને બહારનો ખોરાક ન આપવા સૂચન કર્યું, કારણ કે તેઓ કુદરતી સંતુલન સાથે જીવે છે અને જંગલમાં જ તેમને ખોરાક મળી રહે છે. તેમણે બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક વિશેષતાઓ અને જંગલ, પાણી, રણ, ખનીજ જેવી કુદરતી સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી પર પણ પ્રકાશ પાડ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો ભવિષ્યમાં ઇકો ટુરિઝમનું હબ બને તે દિશામાં કામગીરી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત બાલારામ અભયારણ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીના હસ્તે ઈકો ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ચિત્રાસણીને વિકાસ કાર્યો માટે રૂ. 10 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિમાં પીપળ અને તુલસીની પૂજા કરીને પ્રકૃતિના રક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે ત્યારે તમામ યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પર્યાવરણ માટે રાક્ષસ સમાન છે. જંગલ વિસ્તારમાં ખાખરાના પાન જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ અને કચરો નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાંખવો જોઈએ. મંત્રી ધારાસભ્ય સહિત મહાનુભાવો અને અધિકારીઓએ બાલારામ અભયારણ્ય સ્થિત મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકને એકઠું કરાયું હતું જેનો ટ્રેક્ટરની ટ્રોલી મારફત નિકાલ કરવામાં આવ્યો હતો. આજરોજ બનાસકાંઠા વન વિભાગ, ક્રેડાઈ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ અને ગ્રામ્ય લોકોના સહયોગથી કુલ 50થી વધુ ટ્રેક્ટર પ્લાસ્ટીકનો કચરો એકઠો કરીને તેનો નિકાલ કરાશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પી.જી.ગાર્ડી સહિતના વન વિભાગના અધિકારીઓ, ચિત્રાસણી સરપંચ, વિવિધ સંસ્થાઓના પ્રમુખઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ:કોરોનાકાળમાં બંધ થઈ હતી, 65 ગામોના મુસાફરોને મોટી રાહત
બોરસદ અને આંકલાવ વિસ્તારના નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. આ ટ્રેનના પુનઃ પ્રારંભથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટી રાહત મળી છે. કોરોના મહામારીના સમયમાં બંધ કરી દેવાયેલી આ મેમુ ટ્રેન આજે ફરીથી પાટા પર દોડતી થઈ છે. આ ટ્રેન સેવા બોરસદ અને આંકલાવ તાલુકાના 65થી વધુ ગામો માટે પરિવહનની એક મહત્વપૂર્ણ કડી સમાન હતી. સેવા બંધ રહેતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને રોજિંદી મુસાફરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કઠાણા ગામ, જે મરી-મસાલાના હબ તરીકે ઓળખાય છે, તેના માટે રેલવે પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે. ટ્રેન બંધ થવાથી લોકો ખાનગી વાહનો અને રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર બન્યા હતા, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો હતો. આ ઉપરાંત, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી આણંદ-વડોદરા માર્ગ પર ટ્રાફિકનું દબાણ વધુ વધ્યું હતું. પરિણામે, રોજિંદી આવન-જાવન કરનાર મુસાફરો માટે મુસાફરી વધુ અસુરક્ષિત અને ખર્ચાળ બની હતી. આવી સ્થિતિમાં મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ થવી આ વિસ્તાર માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે. આણંદના સાંસદ મિતેષ પટેલ અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી દ્વારા કેન્દ્રના રેલવે મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો, બેઠકો અને અનુસરણ કરવામાં આવ્યા હતા. આ પ્રયાસોના પરિણામે જ આ લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. બોચાસણ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોની હાજરીમાં રેલવે અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ટ્રેન સેવા ફરી શરૂ થતા બોરસદ-આંકલાવ વિસ્તારના ગામોના નાગરિકોને સરળ અને સસ્તો વાહનવ્યવહાર ઉપલબ્ધ બનશે. નોકરીયાતો અને વિદ્યાર્થીઓ માટે સમય બચાવતો ઝડપી વિકલ્પ મળશે તેમજ વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવશે. સાથે જ રોડ ટ્રાફિક પરનું દબાણ ઘટશે અને મુસાફરીની હાલાકીમાંથી લોકોને રાહત મળશે.
એટીએમમાં પૈસા કાઢવા આવતા નાગરિકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખી લાખો રૂપિયા પડાવી લેનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વડોદરા ઉપરાંત ભરૂચ, ડાકોર અને સુરતમાં પણ આવી જ રીતે ઠગાઈ અને ચોરી આચર્યા હતા. આરોપી પકડાતા 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પૈસા કાઢવામાં મદદ કરું એવું કહીને પીન નંબર જાણી લેતોઆરોપીની પૂછપરછમાં ખુલ્યું કે, તે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને એટીએમનો ઉપયોગ કરવામાં મૂંઝવણ અનુભવતા નાગરિકોને ટાર્ગેટ કરતો હતો. પૈસા કાઢવામાં મદદ કરું એવું કહીને પીન નંબર જાણી લેતો અને હાથચાલાકીથી અસલ કાર્ડની જગ્યાએ પોતાનું ડમી કાર્ડ આપી દેતો હતો. પછી પીડિત એટીએમમાંથી બહાર નીકળે કે તરત જ અસલ કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો. ડીટેક્ટ થયેલા મુખ્ય ગુનાઓશહેરના ફતેગંજ પોલીસ સ્ટેશના 5 , ભરૂચના 2, ડાકોર પોલીસ સ્ટેશનના એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તે 2014થી સતત આવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડીયાદ તથા મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં IPC 406, 420, 379 તેમજ BNSની જુદી જુદી કલમો હેઠળ 39થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી તુષાર અનીલભાઈ કોઠારી (ઉં.વ.36), રહે. ભાયલાલ દાદાની ચાલી, ચરોતર બેંક પાસે, આણંદ, મૂળ રહે. હાથીપોળ, રાજમહેલ રોડ, વડોદરા) છે. તેની પાસેથી 10 એટીએમ કાર્ડ તથા એક ઓપ્પો મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
માનવસેવા તથા કેળવણી સહાય ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ચિત્રા-ફૂલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ ભાવનગર પરા દ્વારા આજરોજ ચિત્રા ગાયત્રી મંદિર ખાતે 22મો સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો. આ લગ્નોત્સવમાં 17 નવદંપતિઓએ પ્રભૂતામા પગલાં પાડ્યાં અને 14 બ્રહ્મ બટુકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મ સમાજની નિશ્રામાં જનોઈ ધારણ કરી હતી. 17 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા, 15 બટુકોએ જનોઈ ધારણ કરી ચિત્રા ફુલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષે પરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ડિસેમ્બર માસમાં સમૂહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞપવિત સુંદર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 7 ડિસેમ્બરને રવિવારના રોજ 22માં સમૂહ લગ્નોઉત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાયા હતા અને 15 બ્રહ્મ બટુકોએ યજ્ઞ નારાયણની સાક્ષીએ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્મઋષિ પરિવારની ઉપસ્થિતિમાં જનોઈ ધારણ કરી હતી. અલગ અલગ દાતાઓના આર્થિક અનુદાન તેમજ અન્ય અનુદાન થકી લગ્નગ્રંથિ જોડાનાર દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાંસમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સાધુ સંતો મહંતો તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા સાથે યજ્ઞોપવિત ધારણ કરનાર બ્રહ્મ બટુકોને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈને બ્રહ્મ ઉત્કર્ષ મંડળના ડોક્ટર મહેન્દ્ર મહેતા, અતુલભાઇ જોશી, ધર્મેશ પંડ્યા, રાજુ પંડ્યા બાબુલાલ જાની, ભદ્રેશ ભટ્ટ, રમણલાલ જોશી, અજય પંડ્યા, મનીષ મહેતા, રક્ષા બહેન પંડ્યા, શોભનાબેન ભટ્ટ,જયશ્રીબેન મહેતા, સહિતનાઓ જોડાયા હતા.
દેવગઢ બારીયા નગરપાલિકામાં હંગામી જમીન ભાડા મામલે મોટો વિવાદ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખ નીલ સોનીએ ટાવર નજીક આવેલી ફાયદા બજાર સેલની રૂબરૂ તપાસ હાથ ધરી હતી. કાપડના વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ થયેલી આ તપાસમાં મહત્વની ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એક વેપારીએ 3133 એટલે કે 1,023 ચોરસ ફૂટ જેટલી પાર્કિંગ જગ્યા ગેરરીતે કબજે કરી પતરાવાળો શેડ ઉભો કર્યો હતો. પાવતી રજીસ્ટર મુજબ વેપારી દ્વારા ફક્ત રૂ. 72,000 જમા કરાવાયા હતા, જ્યારે 25 માર્ચ 2025ના ઠરાવ અનુસાર હંગામી જગ્યા માટે રૂ. 50 પ્રતિ ચોરસ ફૂટના દરે કૂલ રૂ. 4,09,200ની રકમ ભરવાની થાય છે. તપાસ દરમિયાન વેપારીના પિતા વાસુદેવ સુંદરણીએ જણાવ્યું કે, નગરપાલિકાના સદસ્ય વિશાલ બાલવાણી તેમના સગા છે અને તેમની ભલામણથી સ્ટોર આપવામાં આવ્યો હતો. આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં રાજકીય હલચલ વધી ગઈ હતી. પંચકેસ પર સહી ન કરતા વેપારીને નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરના રૂમમાં લઈ જવાયા હતા, જ્યાં પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ તથા અન્ય સદસ્યોની હાજરીમાં વેપારી પાસેથી ફરિયાદ વિરુદ્ધ લખાણ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશાલ બાલવાણી અને પ્રમુખ નીલ સોની વચ્ચે “પંચકેસ કેમ કરવામાં આવ્યો?” તે મુદ્દે વાદ વિવાદ થયો હોવાની માહિતી સૂત્રો આપી રહ્યા છે. પ્રમુખ નીલ સોનીએ સત્તાના હકથી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, વેપારી પાસેથી બાકી રકમ વસૂલ કરવામાં આવે અને પાર્કિંગ જગ્યા પરથી હંગામી દુકાન તાત્કાલિક દૂર કરાય. આ ઘટનાથી રાજકીય દબાણ, સત્તાનો દુરુપયોગ અને નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલની અધ્યક્ષતામાં પસાર થયેલ ઠરાવ છતાં તેમની ટીમના સગા વેપારીને ઓછી રકમ ભરાવી દેવામાં આવી હોવાના આક્ષેપો રાજકીય ગરમાવો વધારી રહ્યા છે. હવે નગરમાં એ મુદ્દે ચર્ચા છે કે બાકી નીકળતી રૂ. 4,09,200ની રકમ વેપારી અથવા ભલામણ કરનાર સદસ્ય જમા કરશે કે નહીં, નગરપાલિકા ક્યારે સત્તાવાર રીતે દબાણ દૂર કરવાની કાર્યવાહી અમલમાં મૂકે છે અને સત્તાના દુરુપયોગ મામલે શી સજા થાય છે. સમગ્ર પ્રકરણને કારણે દેવગઢ બારીયાનું રાજકારણ ગરમાયું છે અને આગામી પગલાં પર સૌની નજર છે.
ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર 21 વર્ષીય યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ ક્રૂરતાપૂર્વક પતાવી દેવાયો છે. યુવકને 5થી વધુ ચપ્પુના ઘા માર્યામળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ ગગનકુમાર મહાનંદ દાસ છે, જેની ઉંમર માત્ર 21 વર્ષ હતી. હત્યારાઓએ ગગનકુમારને મોડી રાત્રે કોઈ બહાને ફોન કરીને સુરતના સચિન GIDC વિસ્તારમાં બોલાવ્યો હતો. અહીં અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગગનકુમારને 5થી વધુ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. પિતાનું હૈયાફાટ રુદનઆ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મૃતક ગગનકુમાર જ તેના પરિવારનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. પુત્રની હત્યાના સમાચાર મળતા જ તેના પિતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. 'મારી દુનિયા ખતમ...'શોકમગ્ન પિતાએ કહ્યું, મારી દુનિયા તો ખતમ થઈ ગઈ છે. મારા માટે હવે કંઈ નથી બચ્યું. એક જ છોકરો હતો મારો, જે કમાઈને અમને ખવડાવતો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો ઘટનાની જાણ થતાં જ સચિન GIDC પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાપ્રાથમિક તપાસમાં પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. હત્યા જૂની અદાવતને કારણે થઈ છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરી છે. વધુ વિગતો અને હત્યારાઓની ધરપકડ બાદ જ હત્યાના આ બનાવ પરનો ભેદ ઉકેલાશે. 'ત્યાં કેમેરા લાગેલા છે, કેમેરા પર ચેક કરીને ખબર પડી શકે છે'મુકેશ કુમાર (ભાઈ) એ જણાવ્યું હતું કે, ગગન કુમારની નાઈટમાં ડ્યુટી હતી. તેના પિતા 10 વાગ્યે તેને જમવાનું આપીને આવ્યા. 11:00-11:30 વાગ્યે ફોન આવ્યો કે કોઈએ તેને ચાકુ મારી દીધું છે. ત્યારબાદ અમે ઘટનાસ્થળ પર પહોંચ્યા, ત્યાં તે મૃત્યુ પામ્યો હતો. કોને ચપ્પુ માર્યું તેની જાણકારી નથી. ત્યાં કેમેરા લાગેલા છે, ત્યાં કેમેરા પર ચેક કરીને ખબર પડી શકે છે. મારનાર સાથે શું પ્રોબ્લેમ હતો, તે કોઈની સાથે શેર પણ નહોતો કરતો. 'અમે બે છોકરાઓને અહીંથી જતા જોયા'પિતાએ જણાવ્યું હતું કે, હું બિહારનો રહેવાસી છું. હું જ્યારે ડ્યુટી પરથી ગયો, તો છોકરાઓ મોં-હાથ ધોઈને ડ્યુટી પર ગયા હતા. તેઓએ હંગામી રૂપે ખાવાનું બનાવ્યું હતું. પછી મેં ખાવાનું બનાવ્યું. બટાકા-ચણાનું શાક અને રોટલી. ટિફિન લઈને ગયા. મેં તેને ટિફિન આપ્યું. પછી તેણે કહ્યું કે અમે ખાઈ લઈશું, તમે જાઓ પપ્પા. હું જતો રહ્યો. પછી અમે બે છોકરાઓને અહીંથી જતા જોયા. જેને અમે ઓળખીએ છીએ, જેને જોયો તે તેનો નજીકનો મિત્ર હતો. તેની સાથે શું છે, તે મને ખબર નથી. 'તેને કોઈએ ચાકુ માર્યું ને ત્યાં ગેટની આગળ ફેંકી દીધો હતો'વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું રોટલી વગેરે ખાઈને સૂઈ ગયો. ત્યારે લગભગ સાડા અગિયાર વાગ્યે ભાઈ મને બોલાવવા આવ્યા હતા કે ગગન સાથે કોઈ મારપીટ થઈ છે, ચાલો. અમે દોડીને દોડીને ગયા તો જોયું કે તેને કોઈએ ચાકુ માર્યું છે ત્યાં ગેટની આગળ ફેંકી દીધો હતો. હવે કોણે માર્યો, નથી માર્યો, એ તો અમને ખબર નથી. ત્યાં સીસીટીવી કેમેરા છે, ફૂટેજ છે, એ તમે ચેક કરી ખબર પડશે. લડાઈ કરનારો છોકરો ન હતો, તેને કોઈ ફોન કરીને તેને બોલાવ્યો છે, જે 1172માં કામ, 1272માં કામ કરે છે, તેને 753 કે 24 નંબરના ખાતામાં લાવીને તેને મારવામાં આવ્યો છે. દૂર લાવીને મારવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, મને ન્યાય જોઈએ. જે મારનાર છે, તેને સજા જોઈએ. મારી દુનિયા તો ખતમ થઈ ગઈ છે. હવે મારા માટે કંઈ નથી બચ્યું. એક જ છોકરો હતો કમાનારો, તેનાથી ઘર ચાલતું હતું. હું મજૂર છું. હું બીકે કંપનીમાં મજૂરી કરું છું, હેલ્પરનું કામ કરું છું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢથી અડપોદરા રોડ પર બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી. વન વિભાગે પુષ્ટિ કરી છે કે આ વીડિયો બે દિવસ જૂનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાયગઢથી અડપોદરા રોડ પર રેલવે સ્ટેશન વિસ્તાર નજીક ઝાડીઓમાં દીપડો દેખાયો હતો. એક કાર ચાલકે દીપડાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ અંગે રાયગઢના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ માહિતી મળતા જ વન વિભાગની ટીમે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડો ફરીથી જોવા મળ્યો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તાર જંગલની નજીક હોવાથી દીપડો રોડ તરફ આવી ગયો હોઈ શકે છે. જોકે, પેટ્રોલિંગ દરમિયાન તેની હાજરી જણાઈ નથી.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવી રહ્યો છે. આજે સાંજે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજનાં માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે. સાબરમતી નદીમાં 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઈટિંગ સાથેની રાખવામાં આવેલી ફ્લોટિંગ હોડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 8 અને 9 ડિસેમ્બરે પણ આ ડેકોરેટિવ હોડીઓ રાખવામાં આવશે. અમદાવાદના આંગણે યોજાઈ રહેલા આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજરી આપશે. 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વરણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણયBAPS સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થયાં છે. સંતોના વારસાને જાળવી રાખવા માટે અને નવી પેઢી સુધી પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન અંગેની ઝાંખી દર્શાવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ દ્વારા સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ વરણી મહોત્સવ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રમુખ સ્વામીનાં જીવનકાર્યને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરાશેપ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ તરીકેની વરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનનાં 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. 50,000 આમંત્રિતો ભવ્ય કાર્યક્રમ નિહાળશેસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સાંજે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અને 300થી વધારે સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. રિવરફ્રન્ટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માત્ર આમંત્રિતોને જ બોલાવવામાં આવ્યા છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50,000 જેટલા આમંત્રિતો ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવશે. આમંત્રિતો સિવાય દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘેરબેઠાં માણી શકશે લોકોને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા 500થી વધુ બસો મૂકવામાં આવીસાંજે યોજાનારા ભવ્ય કાર્યક્રમને લઈને અમદાવાદમાં જ રહેતા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી દરેક વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTS બસો મૂકવામાં આવી છે. દરેક વિસ્તારમાં જે લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યાં છે તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા માટે 500થી વધુ બસો મૂકવામાં આવી છે. દરેકના વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી બસમાં તેમને લેવા આવશે અને પરત તેમના સ્થાન સુધી લઈ જવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચારથી વધુ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલાં છે, જેમાં સ્વયંસેવકો રહેશે. છેલ્લા બે મહિનાથી આ કાર્યક્રમને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કુલ 20 જેટલા સેવા વિભાગો અને 5000 જેટલા સ્વયંસેવકો રહેશે. વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો રહેશે. 21 મે, 1950માં પ્રમુખ સ્વામીને BAPSના આજીવન પ્રમુખ તરીકે નિમાયાBAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (21 મે, 1950)ના જેઠ સુદ 4ના દિવસે રવિવારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે 5 વાગ્યે પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે - નિયુક્ત કર્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખ સ્વામી મહારાજ’ના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે જીવનભર દેહની પરવાહ કર્યા વિના સેવાકાર્યો કર્યાંશાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીએ(પ્રમુખ સ્વામી મહારાજે) વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી કે “મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ.” આ પ્રતિજ્ઞા મુજબ તેઓ જીવનભર દેહની પરવા કર્યા વિના સેવામય રહ્યા હતા અને હજારો લોકસેવાનાં અભિયાનો કરી અનેક પ્રદાનો આપ્યાં હતાં. 1939માં પ્રમુખ સ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતીBAPS સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક-સામાજિક સંગઠન તરીકે ઊભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ-યજ્ઞપુરુષ પોળ છે. 1938માં BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’ નો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખ સ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરાયું હતુંબ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ આંબલીવાળી પોળમાંથી બી.એ.પી.એસ.ના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે. 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ચોરીની બે ઘટના બની છે. જેમાં મકરબા ઓડા ગાર્ડન ખાતે ચાલવા માટે ગયેલા મહિલાના એક્ટિવા ટુ વ્હીલરની ડેકીમાંથી ATM ચોરી ચોરે 65 હજાર ઉપાડી લીધા હતાં. જ્યારે બીજ બનાવમાં નારણપુરા ફાટક પાસે કારમાંથી કાળા કલરનો થેલો તસ્કરો લઈને ફરાર થયા હતા. મકરબા ઓડા ગાર્ડન પાસે ટુ વ્હીલરની ડેકીમાંથી ચોરીઅમદાવાદના વેજલપુરમાં રહેતા મિતલબેન રાઠોડ રામોલ ખાતે આવેલી બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. 12 નવેમ્બરે સાંજે નોકરી પરથી પરત ફર્યા બાદ એક્ટિવા લઈને મકરબા ઓડા ગાર્ડન ખાતે ચાલવા માટે ગયા હતા.મિતલબેને તેમની એક્ટિવા ટુ વ્હીલર પાર્કિંગની જગ્યાએ પાર્ક કરી હતી. સાંજે 6.55 વાગ્યે મિતલબેન ગાર્ડનમાંથી બહાર આવીને એક્ટિવા લઈને વેજલપુર પોલીસ ચોકી પાસે આવેલી ઝેરોક્ષની દુકાને પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે એક્ટિવાની ડેકી ખુલ્લી છે અને અંદર મૂકેલું પર્સ ગાયબ છે.પર્સમાં 10,000 રોકડા હતા. 75 હજારની ચોરીની ફરિયાદ નોંધાઈઆ ઉપરાંત પર્સમા એટીએમ કાર્ડ,બે મેમ્બરશીપ કાર્ડ, ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને એક્ટિવાની આર.સી. બુક હતી.ચોરે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા 25,000 અને 40,000 ઉપાડી લીધા હતા. કુલ 75 હજારની ચોરી મામલે સરખેજે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. નારણપુરા ફાટક પાસે ચોરીસાબરમતીમાં રહેતા અલ્પેશ સુખડિયા નવરંગપુરામાં 'કેપિટલ ટ્રાવેલ્સ' નામની ઓફિસ ચલાવે છે.અલ્પેશભાઈ નારણપુરા ફાટક પાસે કપિલકુંજ સોસાયટી પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર બે શખ્સે તેમની કારને પાછળના ભાગે સામાન્ય ટક્કર મારી હતી. જે બાદ તરત જ આ ઈસમો કારના કાચ ઉપર જોર જોરથી હાથ મારીને અલ્પેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. 2.50 લાખ રોકડા લઈને તસ્કરો ફરારજ્યારે અલ્પેશભાઈએ કારનો ડાબી બાજુનો કાચ ખોલ્યો, ત્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખ્સે નજર ચૂકવીને કારની આગળની સીટમાં મૂકેલો કાળા કલરનો થેલો ચોરી લીધો હતો. ચોરી થયેલા કાળા થેલામાં રોકડા રૂપિયા 2,50,000, ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ, અને ઓફિસની ચાવીઓ જેવા મહત્વના દસ્તાવેજો અને વસ્તુઓ હતી.આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સગીરાએ અધૂરા માસે મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે આરોપી સામે પાટડી પોલીસ મથકે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, દસાડા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 14 વર્ષ, 6 માસ અને 12 દિવસની સગીરાને 5 ડિસેમ્બર, 2025ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેને સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તપાસ દરમિયાન સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવતા તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સગીરાએ પાંચ માસના મૃત બાળકને જન્મ આપ્યો હતો. પરિવારજનો દ્વારા પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે, ગામમાં દુકાન ધરાવતા અજીત ઉર્ફે જીતો મણાભાઈ ઠાકોર તેને દુકાને ખરીદી કરવા ગઈ ત્યારે હાથ પકડીને ઘરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાના પિતાએ આ ઘટના અંગે અજીત ઠાકોર સામે પાટડી પોલીસ મથકે પોક્સો એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ બી.સી. છત્રાલીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોપી અજીત ઠાકોર ફરાર થઈ ગયો છે.
જુનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ,પોલીસ હાઉસિંગ, ગૃહ રક્ષક દળ,અને નશાબંધી વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત જેલ કર્મચારીઓના આવાસ સંકુલ અને જેલના પરિસરમાં તૈયાર કરાયેલી આધુનિક મહિલા બેરેક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર, સ્થાનિક ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કમલેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ અને જેલ કર્મચારીઓના પરિવાર માટે આ સુખદ અવસર છે. સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે પોલીસ અને જેલ વિભાગના કર્મચારીઓના પરિવારોને સુખ-સુવિધાઓથી સજ્જ સારા આવાસોમાં રહેવાનો લાભ મળે. તેમણે ઉમેર્યું હતું કે, ગૃહ મંત્રીના સક્રિય નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો વહેલી તકે બને અને તેના લોકાર્પણ થાય તે દિશામાં તમામ સુવિધાઓના કામો પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષક જે.આર. સિસોદિયાએ આ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે કુલ 43 આવાસ અને અન્ય બિન-રહેણાંકીય મકાનો તેમજ વહીવટી કામગીરી માટેના ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ ₹11.30 કરોડના ખર્ચે 43 થી વધુ આવાસોનું નિર્માણ થયું છે, જે કર્મચારીઓના રહેણાંકની સમસ્યા હળવી કરશે. આ તમામ સુવિધાઓનો ઉદ્દેશ્ય જેલ કર્મચારીઓની કામગીરી અને તેમના જીવનધોરણને સુધારવાનો છે. આ લોકાર્પણ સમારોહમાં હાજર રહેલા તમામ સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બોટાદ જિલ્લાના પીપળીયા ગામેથી પાળીયાદ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹5,17,248 ની કિંમતની 1872 બોટલ જપ્ત કરી છે.પાળીયાદ પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીપળીયા ગામમાં પ્રતાપભાઈ કાથડભાઈ ખાચરના વંડામાં આવેલા ઢાળિયામાં દારૂનો આ જથ્થો સંતાડવામાં આવ્યો હતો.ઝડપાયેલા દારૂમાં રોયલ ચેલેન્જર ફાઇન રિઝર્વ વ્હીસ્કીની 1392 બોટલ અને મેક ડોલ્સ નં-1 ઓરિજિનલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 480 બોટલનો સમાવેશ થાય છે. આમ, કુલ 1872 બોટલ જપ્ત કરવામાં આવી છે.પોલીસે દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો છે. આ કેસમાં વધુ તપાસ PI પી.ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા 4 લોકો પાસેથી રૂપિયા 1.78 લાખ પડાવ્યા હતા. સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ, તેમ કહીને લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ આ એજન્ટે મકાન નહીં અપાવતા તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ નરહરિ હોસ્પિટલ પાછળ કમાટીપુરા ખાતે રહેતા ગુલાબસિંગ ઉદેસીંગ જાદવને વડોદરા શહેરના સમા વિસ્તારમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખરીદવું હતું, જેથી તેઓ મકાન મેળવવા માટે જુલાઈ-2024મા માહીતી તથા જરૂરી દસ્તાવેજ ભેગા કરતા હતા. તેમની પાડોશમાં રહેતા કીર્તિબેન કહારે તેમની પત્ની પદમાનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યુ હતું કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવવા માટે ફોર્મ ભરેલું છે. ફોર્મ ફરવાની પ્રોસેસ સંજય રાજુભાઈ પ્રજાપતિ મારફતે છે. સંજય પ્રજાપતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાના એજન્ટ તરીકે કામ કરે છે અને તેઓની કોર્પોરેશની ઓફિસમાં પહોંચ હોવાથી ગેરેન્ટીથી મકાન અપાવી શકે છે તેમ જણાવતા દંપતીને સંજય પ્રજાપતિ થકી ફોર્મ ભરાવવાનુ નક્કી કર્યું હતું. સંજય પ્રજાપતિ દંપતીના ઘરે ગયો3 હતો. તેમને સરકારી કામમાં તેને મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવીશ તેવો વાયદો કર્યો હતો અને ઉપર સાહેબને રૂ.50 હજાર આપવા પડશે તેમ જણાવ્યુ હતુ. સંજય પ્રજાપતિ ઉપર વિશ્વાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ મકાન મેળવવા માટેનું ફોર્મ ભરવાનુ નકકી કર્યું હતું અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. ત્યારબાદ સંજય પ્રજાપતિએ તેમને ફોન કરીને ફાઈલ ચાર્જ અને સાહેબને આપવાના છે, તેમ કહીને ગુલાબસિંગ જાદવ પાસે રૂપિયા માંગ્યા હતા, જેથી તેમણે સંજય પ્રજાપતિને 59 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ એક માસ પછી સંજય પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આજકાલમાં તમારા ઘરે લેટર આવશે. પરંતુ કોઈ મકાન મળ્યું હોવાનો લેટર આવ્યો ન હતો અને પરંતુ કોઈ આવાસનું મકાન અપાવ્યું ન હતું. સંજય પ્રજાપતિ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન અપાવવાના બહાને પૈસા લીધા હોવાની હકિકત જાણવા મળી હતી. જેમાં પાડોશી સતિષ ખાનવીલકર પાસેથી પણ રૂપિયા 54 હજાર તથા પટેલ મયંક પાસેથી 39 હજાર તેમજ કીર્તિબેન પાસેથી 32 હજાર મળી કુલ રૂપિયા 1.78 લાખ પડાવ્યા હતા. પરંતુ કોઈને મકાન અપાવ્યું ન હતું. જેથી ગુલાબસિંગ જાદવે સંજય પ્રજાપતિ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આરોપી સંજય રાજુ પ્રજાપતિ (રહે.ચંદ્રભાડા હાઉસિંગ બોર્ડ, નવાવાડજ, અમદાવાદ અને સમા, જલારામ મંદિર પાસે, વડોદરા)એ ગુલાબસિંગ જાદવને પ્રધાનમંત્રી આવાસ યોજનાનુ ફોર્મ ભરી આપી ચોક્કસ મકાન મળી જશે. તેઓ પાકો વિશ્વાસ આપી મારી પાસેથી રૂ. 59 હજાર મેળવી લીધા હતા. મકાન નહી મળે તો પરત રૂ.32 હજાર મળી જશે તેમ જણાવ્યુ હતું. તે પ્રમાણે મકાન નહીં અપાવતા તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક રૂ.32 હજારનો ચેક લખીને આપ્યો હતો. જે ગુલાબ સિંગ જાદવે પોતાના ખાતામાં જમા કરાવવા બેંકમા જતા બંધ એકાઉન્ટનો ચેક હોવાનું જાણવા મળ્યું હતું.
બાળવિદ્વાનોએ સમૂહ પૂજા:પ્રમુખ સ્વામી મહારાજનાં જન્મદિવસે 350 થી વધુ બાળ વિદ્વાનોએ સમૂહ પૂજા કરી
BAPS સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનાં તારીખ પ્રમાણેના જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગર અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક ભક્તિમય અને અદભુત કાર્યક્રમ યોજાયો હતો. સત્સંગ દીક્ષાના શ્લોકપાઠ કરનાર બાળ વિદ્વાનો મંદિર પરિસરમાં વહેલી સવારે 350 કરતાં પણ વધારે બાળવિદ્વાનોએ ભગવાનની સમૂહમાં વ્યક્તિગત પૂજા કરી હતી. આ એવા બાળકો છે જેમણે મહંત સ્વામી મહારાજ લિખિત 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો છે. આટલી મોટી સંખ્યામાં બાળ વિદ્વાનોનું એકસાથે પૂજન દૃશ્યમાન થતાં વાતાવરણમાં અનેરી આધ્યાત્મિકતા છવાઈ ગઈ હતી. આધ્યાત્મિક અભિગમનું સિંચન બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા સ્થાપિત અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સંવર્ધિત આ બાળ મંડળના બાળકોએ તેમની પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા હતા. મહંત સ્વામી મહારાજે બાળકોની અંત:શક્તિને બહાર લાવીને તેમનામાં આધ્યાત્મિક અભિગમ વિકસાવ્યો છે. આ સંસ્કાર સિંચન દ્વારા બાળકોને કળિયુગમાં વ્યસન અને દુષણોથી દૂર રાખીને સુસંસ્કાર તરફ વાળીને સમાજને એક બહુ મોટી ભેટ આપવામાં આવી છે. આ પ્રવૃત્તિ બાળકો અને સમગ્ર સમાજને એક નવી અને ઉત્કૃષ્ટ રાહ ચીંધે છે. ભાવનગરમાં સંતો અને બાળ કાર્યકર્તાઓ દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળ મંડળો ચાલી રહ્યા છે. આજે જ્યારે આ બાળકો તેમની કાલી ઘેલી ભાષામાં ભગવાન સમક્ષ વ્યક્તિગત પૂજામાં લીન થયા હતા, ત્યારે સર્જાયેલું દૃશ્ય અત્યંત મનમોહક હતું. જાણે સાક્ષાત ભગવાન પોતે જ તેમની બાળભક્તિથી પ્રસન્ન થઈ દર્શન દેવા પધાર્યા હોય તેવું અલૌકિક વાતાવરણ ખડું થયું હતું.
ગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વિસ્તારના એક 54 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા વૃદ્ધને ગાંધીનગર ફાયર બ્રિગેડના 11 જવાનોની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બહાર કાઢીને સમયસર CPR આપીને તેમનો જીવ બચાવી લેવાયો હતો. નર્મદા કેનાલમાં વૃદ્ધે મોતની છલાંગ લગાવીગાંધીનગરના અડાલજ-ખોરજ નજીક આવેલી નર્મદા કેનાલમાં અમદાવાદના છારોડી વૈષ્ણોદેવી સર્કલ પાસે એક સોસાયટીમા રહેતા 54 વર્ષીય વૃદ્ધે છલાંગ લગાવ્યા બાદ બચવાના નિરર્થક પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે તેઓ કિનારા તરફ પહોંચવાને બદલે કેનાલની વચોવચ પહોંચી ગયા હતા અને જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ વચોવચ ફસાયા હતાદરમિયાન કેનાલમાં કોઈ વ્યક્તિ ડૂબી રહ્યું હોવાનું જોઈને રાહદારીઓ એકઠા થયા હતા અને તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારે સિનિયર ફાયર ઓફિસરની ગેરહાજરીમાં જ પ્રથમ સરગાસણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ઉપરથી શાંત દેખાતી કેનાલના નીચેના પાણીનો પ્રવાહ ખૂબ જ ધસમસતો હોવાથી અને વૃદ્ધ વચોવચ ફસાયેલા હોવાથી વધુ મદદની જરૂર પડી હતી. વૃદ્ધને અર્ધબેભાન હાલતમાં જીવતા બહાર કાઢ્યાજેના તાત્કાલિક સેક્ટર 17 ફાયર બ્રિગેડની ટીમને પણ કેનાલ પર રવાના કરવામાં આવી હતી. બાદમાં સરગાસણ અને સેક્ટર 17 ફાયર બ્રિગેડની કુલ 11 જવાનોની ટીમે ભારે જહેમત બાદ વૃદ્ધને અર્ધબેભાન હાલતમાં કેનાલમાંથી જીવતા બહાર કાઢી લીધા હતા. કેનાલમાં પડવાના કારણે વૃદ્ધના પેટમાં પાણી પણ જતું રહ્યું હતું. ફાયર ટીમે વૃદ્ધને CPR આપી જીવ બચાવ્યોઆમ વૃદ્ધની નાજુક સ્થિતિ પારખીને ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત CPR આપવાનું શરૂ કર્યું હતું. અને ફાયર જવાનોના સમયસરના આ પગલાથી વૃદ્ધનો જીવ બચી ગયો હતો. બાદમાં વૃદ્ધને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન વૃદ્ધ ના દીકરાને આ ઘટનાની જાણ થતાં તે પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે વૃદ્ધે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણવા માટે આગળની કવાયત શરૂ કરી છે.
ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે AAPના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તેમજ જામનગરમાં ગોપાલ ઈટાલિયા સાથે બનેલી તાજેતરની ઘટનાના વિરોધમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો AAPમાં જોડાયા બાદ ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ મળીને રાજકીય ષડયંત્ર રચ્યું હતું. તેમણે AAP કાર્યકરો પર જૂતું ફેંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પક્ષનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ રાજકીય દમન અને વિરોધીઓને દબાવવાનો પ્રયાસ છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આ અપ્રત્યક્ષ હુમલાઓ, રાજકીય દમન અને દબાવની રાજનીતિ સામે ઝૂકશે નહીં. આના વિરોધમાં રાજ્યના તમામ જિલ્લા મથકો પર વિશાળ વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
કચ્છમાં ખનીજ ચોરી અટકાવવા માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સમાં ખાણ ખનીજ, રેવન્યુ અને ડીએલઆઈઆરના સર્વેયર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સ ખનીજ ચોરીના સ્થળ પર જ માપણી કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરીને 20 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો સામે દંડની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ખનીજ ચોરી અંગે નાગરિકો માહિતી આપી શકે તે માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મો.8758979966 અને 7016315455 આ નંબર પણ નાગરિકો માહિતી આપી શકે છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકો મુક્તપણે ખનીજ ચોરીની માહિતી આપી શકે છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
અમરેલી જિલ્લાની રાજુલા સહકારી નાગરિક બેંકની ચૂંટણી 28 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) સક્રિયપણે પ્રવેશ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કુલ 15 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે. આ બેઠકોમાં જનરલ, મહિલા, નાના સીમાંત ખેડૂત (1 બેઠક) અને SC/ST (1 બેઠક) માટેની બેઠકોનો સમાવેશ થાય છે. ઉમેદવારી ફોર્મ 8 થી 9 ડિસેમ્બર, 2025 દરમિયાન ભરી શકાશે, જ્યારે ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર, 2025 નિર્ધારિત કરાઈ છે. સામાન્ય રીતે રાજકીય પક્ષોથી અલિપ્ત રહેતી આ બેંકની ચૂંટણીમાં આ વખતે ભાજપ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ભાજપ દ્વારા ડિરેક્ટર્સ માટે મેન્ડેટ (આદેશ) આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપે ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરી હતી. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુર માંજરીયા અને ખાંભા તાલુકાના પ્રભારી દિલીપ જોષીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા હતા. જાફરાબાદ રોડ પર આવેલી એક ખાનગી શાળામાં યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન 30 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. સ્થાનિક ભાજપ કાર્યકરોમાં એવી ચર્ચા છે કે, ભાજપના મેન્ડેટનો અનાદર થઈ શકે છે. પક્ષ સક્રિયપણે મેન્ડેટ આપવાના મૂડમાં હોવા છતાં, આગામી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદના મેઘાણીનગરમાં 1 નવેમ્બરના પ્રેમી યુવકે જાહેરમાં સગીરાના કાકાની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોધીને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપીએ સગીરા સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દવા આપી સારવાર કરાવી હતી. તેની જાણ સગીરાના કાકાને થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મેઘાણીનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ આરોપી સામે બીજો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 1 નવેમ્બરની મોડીરાતે અમદાવાદ પ્રેમી સગીરાના કાકાની હત્યાઅમદાવાદ મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ પર ચાલતા ચાલતા મિત્ર સાથે જઈ રહેલા કાકાની 1 નવેમ્બરની મોડીરાતે હત્યા કરવામાં આવી હતી. કાકા સંયુક્ત પરિવારમાં રહેતો અને નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો. કાકા ચાલતો હતો ત્યારે રામકુમારસિંગ ઉર્ફે છોટુ આવ્યો હતો અને પીઠ પર છરીના આડેધડ ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. સગીરાના કાકા લોહીથી લથબથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાતા તેનું સારવારમાં મોત થયું હતું. પીઠ પર છરીના આડેધડ ઘા ઝીંકનાર ઝડપાયોમેઘાણીનગરમાં 1 નવેમ્બરના કાકાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પીઆઇ વી.કે.દેસાઇની બાતમીના આધારે આરોપી રામકુમારસિંગ ઉર્ફે છોટુ રામનરેશસિંહ તોમરની ધરપકડ કરી હતી. સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચરતાં ગર્ભવતી થઇ ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે 16 વર્ષીય સગીરા પર ઓગસ્ટ 2025માં દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થઇ હતી.જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, રામકુમારસિંહે દવા આપી સારવાર કરાવી દીધી હતી. આ ઉપરાંત આરોપી અવાર નવાર સગીરાને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મની કાકાને ખબર પડતા આરોપીએ કાકાને પતાવી દીધાઆ મામલે સગીરાની માતાની પોલીસે પુછપરછ કરતા સગીરાએ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો અને આરોપીએ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ સગીરાના કાકાને આ અંગે જાણ થતા રામકુમારસિંગે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પોક્સો, બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદઆ અંગે સગીરાની માતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો, બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, હાલ તો આરોપીની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો કે, તે કેસમાં કસ્ટડી થયા બાદ બળાત્કાર કેસમાં પોલીસ આરોપીની ટ્રન્ફર વોરંટના આધારે ધરપકડ કરી તપાસ કરાશે. 'આરોપી છરી લઈને અગાઉથી મૃતકની રાહ જોઈને ઊભો હતો'પીઆઈ વિજય દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપી રીક્ષા લઈને હત્યાના દિવસે આવ્યો હતો. આરોપીએ છરી લઈને બનાવ સ્થળ પર અગાઉથી મૃતકની રાહ જોઈને ઊભો હતો. મૃતક આવતા પાછળથી છરો માર્યો હતો જે મૃતકને પાઠથી છાતી તરફ આરપાર થઈ ગયો હતો. હત્યા બાદ આરોપી ફરીથી રીક્ષા પાસે પહોંચી ગયો હતો અને સ્વેટર બદલીને હત્યાના સ્થળે પહોંચ્યો હતો. આરોપીને એમ્બ્યુલન્સ બોલાવીને મૃતકને હોસ્પિટલ સુધી પણ પહોચાડ્યા હતા. પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે,આરોપીએ બીએસસી મેથેમેટીક્સ ભણેલો હોવાથી પોલીસથી બચવા મિનિટોની ગણતરી કરીને પોલીસને ગોઠે ચઢાવતો હતો. પરંતુ પોલીસે સીસીટીવી અને અન્યથી આરોપીની સઘન પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અગાઉ થયેલી બોલાચાલીના મનદુઃખને કારણે આ ઘટના બની હતી. હત્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મૃતક યુવકનું નામ મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર 28 વર્ષ) છે. રાજગઢ ગામના જ બે યુવકો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આ મનદુઃખ રાખીને કેટલાક અજાણ્યા શખ્સોએ રામદેવપુર ગામની સીમમાં વિપુલ પર છરી વડે હુમલો કર્યો હતો. તેમને અંદાજે છરીના ત્રણથી ચાર ઘા મારવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ભોગ બનનારના પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ, ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
તમે કોઈ ATMમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં આગળ કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે, હું તમને ઓનલાઈન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં તો ભોળવાતા નહીં, નઈ તો તમે પણ નકલી ટ્રાન્જેક્શન સ્કેમનો ભોગ બની જશો. આવો જ એક કિસ્સો જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ધ્યાને આવ્યો હતો. તેમણે એક રીઢા આરોપીને પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે. આ ઠગ 'બંટી બબલી' ફિલ્મ જેવી સ્ટાઈલ અપનાવીને ખોટી PhonePe જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય લોકો પાસેથી રોકડ રકમ મેળવતો અને ફેક મેસેજ બતાવીને છેતરપિંડી આચરતો હતો. પોલીસે કઈ રીતે છેતરપિંડી આચરતો તેનો લાઈવ ડેમો પણ આરોપી પાસે કરાવ્યો હતો. આરોપીએ સુરત, અમદાવાદ સહિત 4 શહેરોમાં 12 ગુનાની કબૂલાત કરી છે. જુનાગઢના ATM પાસે 19,000ની છેતરપિંડીથી પોલીસે તપાસ શરૂ કરીઆ સમગ્ર મામલો જુનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે સામે આવ્યો હતો. 16 નવેમ્બરના જુનાગઢના બહાઉદ્દીન કોલેજ સામે આવેલા બેંક ઓફ બરોડાના ATM પાસે રોકડ જમા કરાવવા આવેલા બે નાગરિકો ભોગ બન્યા હતા. વંથલીના દૂધના વેપારી સહિતના એક નાગરિક પાસેથી 12,000 રોકડા મેળવ્યા બાદ ઠગે પોતાના મોબાઇલમાં ખોટી PhonePe એપ દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન સફળ થયું હોવાનો ખોટો મેસેજ બતાવ્યો હતો. આ જ પ્રકારે, સાક્ષી રોહિતભાઈ પાસેથી પણ ATMમાં જમા કરાવવાના 7000 રોકડા લઈ ઠગાઈ કરવામાં આવી હતી. કુલ 19000 આ છેતરપિંડી બાદ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 20 વર્ષીય આરોપી ઝડપાયોDy.SP હિતેશ ધાંધલ્યાએ આ એનડિટેકટ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા માટે સી-ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલને સૂચના આપી હતી. તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી અને ગુના નિવારણ શાખાને સક્રિય કરી હતી. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બાતમી મેળવવામાં આવી હતી. આ બાતમીના આધારે આખરે ઠગાઈ આચરનાર મૂળ અમરેલીનો અને હાલ સુરત રહેતા 20 વર્ષીય આરોપી રૂદ્ર અશોકભાઇ સાવજને એક મોબાઇલ અને બે ATM કાર્ડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે લાઈવ ડેમો કરાવ્યો કઈ રીતે આરોપી ઠગતો હતોપોલીસ તપાસમાં આરોપીએ ગુનાની એમ.ઓ કબૂલી હતી અને પોલીસ સામે જ તેને ડેમો બતાવી કહ્યું કે, તે કેવી રીતે છેતરપિંડી આચરતો હતો. તેણે પોલીસ સામે ઓરિજીનલ દેખાતી ફેક PhonePe એપ્લિકેશન ખોલી. પોલીસે જ્યારે પોતાના ફોનથી QR સ્કેન કરવા આપ્યું તો, આરોપીએ પોતાની ફેક એપ્લિકેશનમાંથી સ્કેન કરી અને 2000 ટ્રાન્સફર કરવા એમાઉન્ટ નાખી અને પાસવર્ડમાં કોઈપણ રેન્ડમ નંબર નાખ્યો. આરોપીએ કબૂલ્યું કે, ટ્રાન્સફર કરવાની એમાઉન્ટ નાખ્યા પછી પાસવર્ડ માગવામાં આવે છે, ત્યારે કોઈપણ નંબર આપણે પાસવર્ડ તરીકે નાખી શકીએ છીએ. અને જેવું તમે પાસવર્ડ નાખીને ક્લિક કરશો એટલે ટ્રાન્જેક્શન સક્સેસફુલનો મેસેજ આવશે. પોલીસે અલગ અલગ રકમ નાખવા આરોપીને કહ્યું તો આરોપીએ 50 લાખ સુધીની એમાઉન્ટ ટ્રાન્સફર કરી બતાવી. તો એ પણ એક ક્લિક પર થઈ ગઈ હતી. 'ફેક PhonePe' એપનો ઉપયોગ કરી વિશ્વાસઘાતની મોડસ ઓપરેન્ડીઆ કામનો આરોપી રૂદ્ર સાવજ PhonePe જેવી જ દેખાતી એક ખોટી/ફેક એપ્લીકેશનનો ઉપયોગ કરતો હતો. તે જાણી જોઈને અલગ અલગ બેન્કોના ATM પાસે ઊભો રહેતો. જ્યારે નાગરિકો રોકડ રકમ ATMમાં જમા કરાવવા આવતા, ત્યારે તે તેમને વિશ્વાસમાં લેતો કે તે તેમની રોકડ રકમ લઈ પોતાના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી આપશે. નાગરિકો પાસેથી રોકડ લીધા બાદ, તે તેમનું Google Pay/PhonePe સ્કેનર માંગતો અને સ્કેન કરતો. જોકે, તે ખરેખર ટ્રાન્સફર કરવાને બદલે, તેની ફેક એપ દ્વારા સક્સેસફુલ ટ્રાન્જેક્શનનો ખોટો મેસેજ બતાવીને નાગરિકોને ભોળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતો હતો. આ પદ્ધતિના કારણે ભોગ બનનારને તુરંત ખ્યાલ આવતો નહોતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. ઠગે સુરત, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં 12 ગુનાની કબૂલાત કરીપોલીસની પૂછપરછમાં આરોપી રૂદ્ર સાવજે કબૂલાત કરી હતી કે તેણે માત્ર જૂનાગઢમાં જ નહીં, પરંતુ ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં આ મોડસ ઓપરેન્ડી દ્વારા કુલ 12 ગુનાઓ આચર્યા છે, જેમાં અત્યાર સુધીમાં તેણે કુલ 80,500ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ગુનાઓ મુખ્યત્વે ATMની બહાર રોકડ જમા કરાવવા આવતા લોકો સાથે આચરવામાં આવ્યા હતા. તેણે સુરત, અમદાવાદ, રાજકોટ અને જુનાગઢ અત્યાર સુધીમાં કુલ 80,500ની ઠગાઈની કબૂલાત કરી છે. આ કબૂલાત દર્શાવે છે કે આ ઠગ એક વિસ્તારમાં ગુનો આચરીને તરત જ અન્ય શહેરોમાં જતો રહેતો હતો. આરોપી વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈઆ 12 ગુનાઓમાં, જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ પાસેની 12000ની છેતરપિંડી ઉપરાંત, જૂનાગઢના કાળવા ચોક પાસે SBI ATMમાં 7000 અને સર્કલ ચોક પાસે BOI ATMમાંથી 3500ની ઠગાઈનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ હવે કાયદેસર ગુનો નોંધીને વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
વલસાડમાં નિરા વેચાણ કેન્દ્રોને આખરે નીરા વેચવાની મંજૂરી મળી ગઈ છે. વલસાડ તાલુકા નીરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા જરૂરી કાર્યવાહી અને માફી પત્ર સુપરત કર્યા બાદ નશાબંધી વિભાગે આ પરવાનગી આપી છે. આ સાથે નીરા વેચાણને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. અગાઉ, મંડળીએ આ વર્ષે નીરા વેચાણ માટે નશાબંધી વિભાગ પાસે પરવાનગી માંગી હતી. જોકે, જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અધૂરી હોવાને કારણે નશાબંધી વિભાગે નીરા કેન્દ્રને તાત્કાલિક સીલ કરી દીધું હતું. આ કાર્યવાહીથી મંડળીના અગ્રણીઓ અને સંચાલકોમાં અસંતોષ ફેલાયો હતો. મંડળીના અગ્રણીઓએ નશાબંધી વિભાગ પર ખોટી રીતે કનડગત કરવા અને 15 દિવસ અગાઉ અરજી કરવા છતાં મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં, નશાબંધી વિભાગની ટીમે મંડળીના સંચાલકો દ્વારા કરવામાં આવેલી ભૂલો સ્પષ્ટ કરી હતી. આ પછી, વલસાડ તાલુકા નિરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળીના સંચાલકોએ નશાબંધી વિભાગને માફી પત્ર લખીને સમજૂતી કરી હતી. નશાબંધી વિભાગે કડકાઈપૂર્વક ટકોર કરીને મંડળીના સંચાલકોને નિરા વેચાણ કરવા માટે નોટિસ આપી હતી. મંડળીએ નશાબંધી વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરી અને અધૂરા દસ્તાવેજો અંગે માફીપત્ર સહિતની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી. આના આધારે, નશાબંધી વિભાગે માર્ગદર્શન પૂરું પાડીને નિરાનું વેચાણ શરૂ કરવા માટે અધિકૃત મંજૂરી આપી. પરવાનગી મળતાની સાથે જ, વલસાડ તાલુકા નિરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળીએ વલસાડના મુખ્ય નીરા કેન્દ્ર સહિત શહેરના કુલ સાત સ્થળોએ નિરાનું વેચાણ શરૂ કર્યું છે.
આણંદ જિલ્લાના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન:વલાસણ, પીપળાવ, રાલજ મંદિરોમાં ગ્રામજનોએ સફાઈ ઝુંબેશ હાથ ધરી
આણંદ જિલ્લાના વલાસણ, પીપળાવ અને રાલજ ગામના મંદિરોમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગ્રામજનો, સખી મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ જૂથોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ અભિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ દ્વારા શરૂ કરાયેલા વ્યાપક સ્વચ્છતા કાર્યક્રમનો એક ભાગ છે. તેમણે તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાકાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરાનો સુવ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે ગ્રામ્ય કક્ષાએ કામગીરી હાથ ધરવા જણાવાયું હતું. આ માટે ગામના આગેવાનો, આરોગ્ય કર્મચારીઓ, સખી મંડળો, યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ મેળવવા આહ્વાન કરાયું હતું. આ આહ્વાનના ભાગરૂપે, વલાસણ મેલડી માતાજી મંદિર, પીપળાવ આશાપુરી માતાજી મંદિર અને ખંભાત તાલુકાના રાલજ સિકોતર માતાજી મંદિરે સામૂહિક સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં ગામના આગેવાનો, કર્મચારીઓ, સખી મંડળો, યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવ્યા હતા.

24 C