ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છથી લઈને પંચમહાલ સુધી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે... કચ્છના લખતરના માલિકા ગામે ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીનો સામાન દટાઈ ગયો છે. મકાનમાલિકને ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, કચ્છના દરિયાકાંઠે એક અદ્ભુત ઘટના બની હતી જ્યાં લગભગ 10 ખારાઈ ઊંટ કચ્છના પંડીત દિનદયાળ પૉર્ટથી તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા. તો અબડાસાનો નીલકંઠ ડેમ છલકાઈ જતાં મહંત દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તેને વધાવવામાં આવ્યો હતો. નખત્રાણાની મોટી અંગિયા ભૂખી નદી પણ છલકાઈ હતી. બીજી તરફ, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું કમાલપુર ગામ વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ ગયું હતું, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલના ગોધરામાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વિદ્યાર્થીઓ પાણીમાં મજા માણતા દેખાયા, તો બીજી બાજુ રિક્ષા અને બાઈક જેવા વાહનો પણ પાણીમાં ડૂબ્યા હતા. આવા જ વરસાદી ગ્રાઉન્ડ રિપોર્ટ્સ માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે. આજનું હવામાન અપડેટ 2 જિલ્લામાં યલો એલર્ટ: નવસારી, વલસાડ આજે ગુજરાતના 31 જિલ્લામાં હવામાન વિભાગનું કોઈ એલર્ટ નથી. આવતીકાલની હવામાનની આગાહી: 4 જિલ્લામાં યલો એલર્ટ: તાપી, ડાંગ, નવસારી, વલસાડ આવતીકાલે ગુજરાતના 29 જિલ્લામાં હવામાન વિભાગનું કોઈ એલર્ટ નથી પ્રભાવ અને રાહત: ખેતીવાડી સ્થિતિ: સાવચેતી માટે અપીલ:
જામનગર-ખંભાળિયા હાઈવે પર આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. જામનગરના મેહુલનગર વિસ્તારની રહેવાસી રાધિકા ઈશ્વરલાલ વિઠ્ઠલાણી (ઉંમર 27) સવારે 6 વાગ્યે ખંભાળિયાથી જામનગર તરફ સ્કૂટર પર જઈ રહી હતી. દાતા ગામની ગોલાઈ પાસે, ખંભાળિયાથી લગભગ 9 કિલોમીટર દૂર, તેમના સ્કૂટર (નંબર GJ-10-CQ-6202) સામે અચાનક એક ગાય આવી જતાં અકસ્માત થયો. આ અકસ્માતમાં રાધિકાને ગંભીર ઈજાઓ થઈ અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મૃતકના પિતા ઈશ્વરલાલ વલ્લભદાસ વિઠલાણી (ઉંમર 67, ખોડીયાર કોલોની, જામનગર) એ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
નવા નીરના વધામણા:અંજારના રત્નાલ ગામે મગિયાસર તળાવ ઓવરફ્લો થતાં ગ્રામજનોએ નવા નીરનું સ્વાગત કર્યું
કચ્છમાં અષાઢી માહોલ પોતાનો અસલ રંગ બતાવી રહ્યો છે. જિલ્લામાં મેઘરાજાની મહેરથી નદી-નાળાં અને ડેમ છલકાઈ ઉઠ્યા છે. લોકો જળ ઉત્સવ રૂપે આ ક્ષણોની ઉજવણી કરી રહ્યા છે. રત્નાલ ગામના ઐતિહાસિક મગિયાસર તળાવમાં સાર્વત્રિક વરસાદને કારણે નવા નીરનું આગમન થયું છે. રત્નાલ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રીમતી સરિયાબેન ત્રિકમભાઈ વરચંદના હસ્તે નવા નીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકર મંદિરના પૂજારી દિલીપ મહારાજ, સચ્ચિદાનંદ મંદિરના પૂજારી ભગવાનદાસજી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત સભ્ય ભગુ ગોવિંદ, માતા સમીબેન રણછોડ, વરચંદ જખુભાઈ, મહેશ્વરી ત્રિકમ શામજી વરચંદ, રાજેશ પટેલ અને રણછોડ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સૌએ લાડુનો પ્રસાદ મેળવીને આનંદ વ્યક્ત કર્યો હતો.
સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સ પેઢીમાં રાત્રિના સમયે બનેલી લૂંટ વીથ મર્ડરની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં હથિયારો સાથે ઘૂસી આવેલા લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા જ્વેલર્સ પેઢીના માલિક આશિષ રાજપરાનું મોત નિપજ્યું હતું. ઘટનાને અંજામ આપી લૂંટારુઓ ફરાર થયા હતા જો કે, એક લૂંટારુને લોકોએ ઝડપી ઢોર માર મારતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અન્ય નાસી છૂટેલા ત્રણ લૂંટારુઓને ઝડપી પાડવા પોલીસે પાંચ ટીમોની રચના કરી છે.આ બનાવ બન્યો ત્યારે બાજુની દુકાનમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટનાની સનસનીખેજ વિગતો વર્ણવી હતી. લૂંટારુઓને સુરતમાં આશરો આપનાર અને લૂંટ માટે ટીપ આપનારને પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી છે. બનાવ બન્યો ત્યારે મૃતક આશિષ રાજપરા બાજુની દુકાનમાં હાજર હતા. જો કે, પોતાના લેપટોપમાં લાઈવ સીસીટીવીમાં દુકાનમાં લૂંટ થયાની જાણ થતા તેઓ દોડી ગયા હતા. આશિષ રાજપરાએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયા હતા જેમાં તેનું મોત નિપજ્યું હતું. આશિષ રાજપરાના માતાપિતા હાલ લંડન ફરવા ગયા હોય પુત્રના મોતની જાણ થતા સુરત આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શીએ કહ્યું- હું અને આશિષ રાજપરા ઉભા હતા'ને લૂંટારુએ ફાયરિંગ કર્યુંસુરતના સી.વી. માર્કેટમાં જ્વેલરી શોપ ધરાવતા એક પ્રત્યક્ષદર્શીએ લૂંટ અને ફાયરિંગની ભયાવહ ઘટના વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, બેથી ત્રણ લોકો રિવોલ્વર લઈને આવ્યા હતા. બહાર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મેં બહાર જઈને જોયું, ત્યાં એક વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈને ઊભો હતો. જે વ્યક્તિ ઉપર ફાયરિંગ થયું, તેઓ અને હું બહાર ઊભા જ હતા. તેઓની ઉપર ફાયરિંગ થતાં હું પાછળ હટી ગયો. હું તરત જ મારી દુકાનમાં જઈને શટર નીચે પાડી દીધું. ત્યાર પછી શું થયું તેની મને ખબર નથી. જ્યારે હું અંદર જઈ રહ્યો હતો, ત્યારે દુકાનની જાળી મને વાગી હતી. મારી દુકાન પાછળના ભાગે છે, એટલે ત્યાર પછી શું બન્યું તેની મને વધારે ખબર નથી. ત્રણથી ચાર લોકો હતા, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે કશું સમજાયું નહીં. લેપટોપમાં લાઈવ સીસીટીવી જોઈ દુકાન પર આવ્યાને મોત મળ્યુંસુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં સોમવારે(7 જુલાઈ)એ રાત્રિના જ્વેલર્સના માલિક આશિષ રાજપરાના ભાઈ વિશાળ રાજપરા, અન્ય બે યુવતી અને એક કર્મચારી હાજર હતા. આ સમયે ચાર લૂંટારુઓ હથિયાર સાથે દુકાનમાં ધસી આવ્યા હતા. શ્રીનાથજી જ્વેલર્સની બાજુમાં આવેલી દુકાનમાં આશિષભાઈ રાજપરા પણ હાજર હતા.પોતાના લેપટોપમાં દુકાનના લાઈવ સીસીટીવીમાં લૂંટારુઓ ઘૂસ્યા હોવાની જાણ થતા તેઓ પળભરનો વિચાર કર્યા વગર દોડી આવ્યા હતા. લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા આશિષભાઈ પર ફાયરિંગ કર્યું હતું અને દાગીનાનો થેલો ભરી નાસી છૂટ્યા હતા. એક લૂંટારુને ઝડપી લોકોએ મારીમારીને અધમૂઓ કરી નાખ્યોફાયરિંગનો અવાજ સાંભળતા જ આસપાસથી અન્ય વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા. જેઓને જોઈ લૂંટારુઓ ભાગ્યા હતા. લૂંટારુઓએ લોકો પર પણ ફાયરિંગ કરતા એક શાકભાજીની લારીવાળા નાઝીમ શેખને પગમાં ગોળી વાગી હતી. તેમ છતાં લોકોએ હિંમતપૂર્વક એક લૂંટારુને ઝડપી પાડ્યો હતો અને માર માર્યો હતો. ઝડપાયેલા લૂંટારુનું નામ દિપક પાસવાન હોવાનું સામે આવ્યું છે હાલ તેની પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર ચાલી રહી છે. લૂંટારુઓ જે દાગીના ભરેલો થેલો લઈને ભાગ્યા હતા તે દુકાનની બહારથી જ મળી આવ્યો હતો. લંડન ફરવા ગયેલા માતાપિતાને પુત્રના મોતના સમાચાર મળ્યાસીવી માર્કેટમાં આશિષ રાજપરાની ત્રણ દુકાનો આવેલી છે.બે દુકાન માં જ્વેલરી શો રૂમ જ્યારે તેમની અન્ય એક દુકાન શો રૂમથી ચાર દુકાન બાદ હતી. જ્યાં આશિષ લેપટોપમાં લાઈવ સીસીટીવી જોઈ રહ્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં આરોપીઓ જાણભેદુ હોવાની શક્યતા છે. મૂળ જૂનાગઢના બીલખા ગામના વતની આશિષ રાજપરાના માતાપિતા મહેશભાઈ રાજપરા અને દક્ષાબેન હાલ લંડન ફરવા ગયા છે. પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ તેઓ તાત્કાલિક સુરત આવવા રવાના થયા છે. તેમના આવ્યા બાદ જ આશિષની અંતિમવિધિ કરવામાં આવશે, એમ સંબંધીઓએ જણાવ્યું હતું. આરોપીઓ સચિન સુડા આવાસમાં રોકાયા હતાસચિનમાં બનેલી જ્વેલરી શોપ લૂંટ અને ફાયરિંગની ઘટનામાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે બે દિવસ પહેલાં જ બિહારથી આવ્યા હતા. તેમને સચિનના જ એક વ્યક્તિએ લૂંટ અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ટીપ આપનાર હોજીવાલા એસ્ટેટમાં ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. આ સમગ્ર ઘટના સી.વી. માર્કેટના પેસેજ એરિયામાં બની હતી. લૂંટારુઓ લૂંટ કરીને દુકાનમાંથી બહાર નીકળી રહ્યા હતા, તે જ સમયે જ્વેલર્સ આશિષ રાજપરા ત્યાં પહોંચ્યા હતા. આશિષે લૂંટારુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં, આરોપીઓએ તેના પર ત્રણ ગોળીઓ મારી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
ભચાઉ નજીક સામખિયાળી તરફના છ માર્ગીય ધોરીમાર્ગ પર વોન્ધ ગામ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગઈકાલે એક ટેન્કર બ્રેક ડાઉન થઈને રસ્તામાં અટકી ગયું હતું. સામખિયાળી ટોલ પ્લાઝાની ટીમે સલામતી માટે ટેન્કર ફરતે દિશા સૂચક પિલર મૂક્યા હતા. આજે વહેલી સવારે ચાર વાગ્યે એક એસિડ ભરેલું ટેન્કર બંધ પડેલા ટેન્કર સાથે અથડાયું. ગુરુકૃપા હોટેલ પાસે બનેલી આ ઘટનામાં કેમિકલ લીકેજની અફવા ફેલાતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. રૂટ મેનેજર શૈલેષ રામી અને તેમની ટીમના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. તેમણે ભચાઉ ફાયર વિભાગને બોલાવીને સલામતીના પગલાં લીધા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
BIG BREAKING: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
Ahmedabad Plane Crash Report: અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ એર ઈન્ડિયાના AI 171 પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોએ ગુમાવ્યા જીવ
મોડાસામાં અત્યાર સુધી 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સબયાર્ડ પાસે મદાપુર-મહાદેવગ્રામ તરફનો રસ્તો ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે. આ માર્ગ પર 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. આ રસ્તો મદાપુર, મહાદેવગ્રામ અને રખિયાલના રહીશો માટે મોડાસા જવા માટેનો મુખ્ય અને ટૂંકો માર્ગ છે. રસ્તો તૂટી જવાથી આ વિસ્તારના લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા માત્ર એક વર્ષ પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. નિમ્ન ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ કરવાને કારણે રસ્તો તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.
અષાઢ સુદ એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત ગુરુપૂર્ણિમા સુધી પાંચ દિવસ માટે કરવામાં આવે છે. આજે અનેક બાલિકાઓએ પોતાના ઘરમાં જવારાનું પૂજન કર્યું હતું. નાની બાળકીઓએ વડીલોની મદદથી પૂજા કરી હતી. મોળાકત તરીકે પણ ઓળખાતા આ વ્રતમાં કન્યાઓ પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન કરે છે. અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયા પાર્વતી વ્રત પણ કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, દેવી ગૌરીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી માતા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી. તેથી કુંવારી કન્યાઓ મનપસંદ પતિની પ્રાપ્તિ, અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. ગોધરાના લાલબાગ મંદિરના પૂજારી દિલીપભાઈ જોશીના જણાવ્યા અનુસાર, ગૌરીવ્રતમાં કુમારિકાઓ પાંચ દિવસ સુધી શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરે છે. તેમના મતે, માતા ગૌરીની આરાધનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા,વિજયનગર અને વડાલીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.બીજી તરફ હિંમતનગરનો હાથમતી પીકઅપ વિયર સતત બીજા દિવસે ઓવરફલો યથાવત રહ્યો છે. ત્યારે જીલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. વરસાદી માહોલ વચ્ચે હિંમતનગરમાં હાથમતી પીકઅપ વિયરમાં ઉપરવાસમાં વરસાદને લઈને પાણીની આવક થવાથી 8 મીટર ભરાયો હતો. ત્યારબાદ સોમવારે વહેલી સવારે હાથમતી પીકઅપ વિયર ઓવરફલો થયો હતો. ત્યારે હાલમાં ધીરેધીરે પાણી વધી રહ્યું છે. સતત બીજા દિવસે અષાઢમાં ઓવરફ્લો યથાવત છે. તો ચોમાસાની સીઝનમાં પ્રથમવાર હાથમતી પીકઅપ વિયર ઓવરફલો થયો છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં 05 મીમીથી 09 મીમી સુધી વરસાદ નોધાયો હતો. જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલ વરસાદમાં ખેડબ્રહ્મા 08 મીમી, વિજયનગર 05 મીમી, વડાલી 09 મીમી, ઇડર 00 મીમી, હિંમતનગર 00 મીમી, પ્રાંતિજ 00 મીમી, તલોદ 00 મીમી, પોશીના 00 મીમી નોંધાયો છે. સાબરકાંઠામાં હાથમતી અને ગુહાઈ ડેમમાં પાણીની આવક સતત ચાલી રહી છે. હાથમતી જળાશયમાં 246 ક્યુસેક આવક નોંધાઈ છે, જેને લઈને હાથમતી ડેમ 43.01 ટકા ભરાયો છે. ગુહાઈ ડેમમાં 182 ક્યુસેક આવક ચાલી રહી છે, જેને લઈને ગુહાઈ ડેમ 50.45 ટકા ભરાયો છે. સાબરકાંઠા જીલ્લાના જળાશયોમાં પાણીની આવક ગુહાઈમાં 182 કયુસેક પાણીની આવક,હાથમતીમાં 246 કયુસેક પાણીની આવક,ખેડવામાં 150 કયુસેક પાણીની આવક સામે 150 કયુસેક પાણીની જાવક, જવાનપુરા બેરેજમાં 50 ક્યુસેક આવક અને 50 ક્યુસેક જાવક ચાલી રહી છે.
ખંભાળિયામાં બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 27 વર્ષીય હિરેન વિરજીભાઈ નડીયાપરાનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. આજે સવારે સાડા નવ વાગ્યે હિરેન મોટરસાયકલ પર ખાનગી કંપનીની ઓફિસમાં નોકરીએ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ઉલટી થઈ અને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. હિરેન તેમના પિતા વીરજીભાઈના એકમાત્ર પુત્ર હતા. બે વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તેમની પત્ની હાલ 4 મહિનાની ગર્ભવતી છે. સરળ અને નિખાલસ સ્વભાવના હિરેનના અચાનક મૃત્યુથી પરિવારજનો, ખાનગી કંપનીના કર્મચારીઓ અને મિત્રોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી દીકરીઓ પૂજાની થાળી સાથે વિવિધ મંદિરોમાં પહોંચી હતી. હિંમતનગરના અનેક મંદિરોમાં દીકરીઓએ પૂજા-અર્ચના કરી હતી. આ મંદિરોમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર, મહાવીરનગર ચાર રસ્તે પંચદેવ મંદિર, માતાવાર ચોકમાં હનુમાનજી મંદિર, પોલોગ્રાઉન્ડ પંચદેવ મંદિર સામેલ છે. વધુમાં મેહતાપુરામાં રામજી મંદિર અને ગાયત્રી મંદિર, કાંકરોલ રોડ પર મહાકાલી માતાજીનું મંદિર, ગોકુલનગરમાં ગોકુલેશ્વર મહાદેવ મંદિર અને ભોલેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે વ્રતની પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. ધૂપ અને પ્રસાદ અર્પણ બાદ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાદેવની વિધિવત્ પૂજા કરવામાં આવી હતી. જયા પાર્વતીનું પાંચ દિવસનું વ્રત 15 જુલાઈ શનિવારે પૂર્ણ થશે. આ દિવસે જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના કાંકરોલ રોડ સ્થિત મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા જાગરણ યોજાશે. રિયા પટેલના કંઠે રાસ-ગરબાનું આયોજન થશે. મહાવીરનગર ચાર રસ્તે પંચદેવ મંદિર પાસેના મેદાનમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા પણ જાગરણ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઇકાલે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી 10 જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે, ખારાઈ ઊંટ એશિયમાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઉંટની પ્રજાતિ છે. તમામ ઊંટ સહિસલામતઆ અંગે મળતી માહિતી મુજબ મુળ જામનગર જિલ્લાના ખંભાળીયા તુલાકના સીંગચ ગામના માલધારી પોતાના ખારાઇ પ્રજાતિના ઊંટોને લઇને કચ્છના કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરીયા વનસ્પતિ ખવડાવા ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે 10 જેટલા ઊંટ દિનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઇ ગયા હતા. જે તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા. જ્યાં વાડીનાર પોલીસે તમામ ઊંટોનું રેસ્ક્યૂ કર્યું હતું અને તમામ ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યા બાદ હવે તેમને તેમના માલિકને સોંપવાની કામગીરી હાથ ધરાઇ છે. ખારાઈ ઊંટ એકમાત્ર પાણીમાં તરતી પ્રજાતિમહત્વનું છે કે, આટલુ લાંબુ અંતર કાપ્યા બાદ પણ તમામ ઊંટો સહિસલામત છે. મૂળ કચ્છના ખારાઈ ઊંટ એશિયમાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે. જે પોતાનો ચારો ચરવા માટે દરિયામાં જાય છે અને ચેરનાં વૃક્ષોનો ચારો ચરે છે. કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં આ ઊંટની પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે. 'આ ઘટના અસામાન્ય કહી શકાય'આ બાબતે ભચાઉ તાલુકાના જંગી ગામના માલધારી સંઘઠનના સંયોજક ભીખાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ખારાઈ ઊંટ દરિયાની ખાડી વિસ્તાતમાં અને છીછરા પાણીમાં તરી શકે છે, ત્યારે કચ્છથી દ્વારકા સુધીના દરિયામાં તરીને સહી સલામત પહોંચ્યા આ ઘટના અસામાન્ય કહી શકાય એમ છે. ખારાઇ ઊંટની વિશેષતાખારાઇ ઊંટની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ખારાઇ ઊંટ એશિયામાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે.ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી.જે આ ઊંટોને અન્ય ઊંટો કરતા અલગ પાડે છે. દરિયાઇ ખાડીમાં થતી ચેર વનપસ્પતિના પાંદડા ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર,પીલુડી જેવી વનસ્પતિનુ ખારાઈ ઊંટ ચરીયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઇ પ્રદેશની ક્ષારવાળી વનસ્પતિ જ તેનો આહાર હોવાથી તે ખારાઇ તરીકે ઓળખાય છે.
છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટ બોક્સનો ક્રેઝ વધ્યો છે. તાજેતરમાં સુરતના કતારગામમાં ભારે વરસાદ અને પવનના કારણે ક્રિકેટ બોક્સ ધરાશાયી થયું હતું. અમદાવાદ શહેરના હાઇવે અને રિંગ રોડને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં લોખંડની જાળીના કોર્ડન કરીને ઉભા કરી દેવામાં આવતા ક્રિકેટ બોક્સ અંગે કોઈપણ નિયમ બનાવવામાં આવ્યા નહોતા. ત્યારે ભાસ્કરે પણ આ અંગે અહેવાલ પ્રદર્શિત કર્યો હતો. ભાસ્કરના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત ક્રિકેટ બોક્સ-પિકલ બોક્સ ચલાવવા માટેની પોલિસી બનાવવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. વાંધા સૂચનો મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે. આ પણ વાંચો: સરકારની જાણ બહાર આડેધડ ઊભાં કરી દેવાયાં ક્રિકેટ બોક્સ:અમદાવાદમાં કોઈપણ નિયમ કે SOP નથી; જો સ્ટ્રક્ચર પડી જાય અને જાનહાનિ થાય તો જવાબદારી કોની? ડ્રાફ્ટ પોલિસી તૈયારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ ખાતા દ્વારા બોક્સ ક્રિકેટ, પિકલ બોલ અને તે પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટી અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટર્ડ થયેલા એન્જિનિયર અથવા ક્લાર્ક ઓફ વર્કસ તથા સ્ટ્રક્ચરલ એન્જીનિયરની નિમણુંક કરી પોલીસ અને ફાયર NOC, પ્રોપર્ટી કોમર્શિયલ માટે બિનખેતી પરવાનગી સહિત અલગ અલગ પ્રકારના પુરાવા સાથે લાઇસન્સ અને મંજૂરીઓ મેળવવા માટે અરજી કરી લાયસન્સ મેળવવાનું રહેશે. વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશેબોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે. પૂર્વ મંજુરી મેળવી ઉભા કરવામાં આવતા નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટી એરીયા (સેનેટરી પ્રોવિઝન તથા ફુડ સ્ટોલના એરીયા સાથેનો) માટે અને હાલ વપરાશ ચાલુ હોય તેવા એક્ટિવિટી એરિયાની SOP પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં અરજી કરવામાં આવેલી હોય તેવા કિસ્સા માટે પ્રતિ ચો. મીટર રૂ. 100 રહેશે. જયારે પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય ઉભા કરવામાં આવતા નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટીવીટી એરીયા (સેનેટરી પ્રોવિઝન તથા ફુડ સ્ટોલના એરીયા સાથેનો) માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 200 લેખે લાયસન્સ ફી ચૂકવવાની રહેશે. આ લાયસન્સ ફી માં દર ત્રણ વર્ષે 5 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. ફીનાં ધોરણોમાં વધારા/ ફેરફાર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે.વખતોવખત ઉક્ત ઉપરોક્ત વન ટાઈમ લાયસન્સ ફીની રકમ નિર્ધારિત કરેલ બજેટ હેડમાં જમા લેવાશે. રહીશો-રાહદારીઓ-જાહેર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસી મુજબ કેટલીક શરતોનું પાલન બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની નેટ કવર્ડ એક્ટિવિટીની મંજૂરી મેળવનારા સંચાલકો દ્વારા કરવાનું રહેશે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ એનઓસી અને લાઇસન્સ મુજબના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરી શકશે. કાયમી બાંધકામ કે સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે નહીં. નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે પ્લોટની 50 મીટર આજુબાજુ ટ્રાફિકનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે જેના માટે સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવાની રહેશે. આજુબાજુના રહીશો અને રાહદારીઓ તેમજ જાહેર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જાહેર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગમે ત્યારે બોક્સ ક્રિકેટનો પરવાનો રદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને રહેશે. 1,000-2,000 રૂપિયા આપીને લોકો ક્રિકેટ રમવા જાય છેદિન પ્રતિદિન ક્રિકેટ રમવા માટે ખુલ્લા મેદાન અને પ્લોટમાં ઊભા કરવામાં આવેલાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. 1,000થી લઈ 2,000 આપીને લોકો ક્રિકેટ રમવા માટે જતા હોય છે. શહેરના એસજી હાઇવે અને રીંગરોડ તેમજ સોસાયટીની બાજુમાં ખાનગી પ્લોટમાં લોખંડની જાળીથી કોર્ડન કરેલા બોક્સ ક્રિકેટ ઊભા કરી દેવામાં આવે છે. હવે કેટલાક બોક્સ ક્રિકેટ ખૂબ જ ઊંચા અને શેડવાળા બનાવવામાં આવે છે. જેથી ચોમાસા દરમિયાન પણ બોક્સ ક્રિકેટ રમી શકાય તેવા બોક્સ ક્રિકેટ ઊભા થયા છે. ક્રિકેટ બોક્સ અને પિકલ બોલ માટે બાંધકામના નિયમો
દીવમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા રોડ નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મેઇન રોડ પરથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલર કાર અચાનક ટર્ન લેતી વખતે બે અલગ-અલગ ઊંચાઈના રોડ વચ્ચે લટકી ગઈ હતી. ઘટના એ સમયે બની જ્યારે કાર ચાલક ઊંચા રોડ પરથી નીચા રોડ તરફ વળ્યા. બંને રોડની ઊંચાઈમાં રહેલા તફાવતને કારણે વાહન લટકી ગયું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ પ્રવાસીને ઈજા પહોંચી ન હતી. તંત્રને જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ક્રેનની મદદથી કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા વિસ્તારમાં દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. જો કે, અજાણ્યા પ્રવાસીઓ આ સૂચના બોર્ડ તરફ ધ્યાન ન આપતા હોવાથી આવી દુર્ઘટનાઓ સર્જાય છે. હાલમાં દીવમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. રોડ નિર્માણના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.
ગીર સોમનાથ જિલ્લામાં મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યાપક કામગીરી ચાલી રહી છે. જિલ્લાના 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 4 અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કર્યું છે. આરોગ્ય વિભાગે 28,773 લોહીના નમૂનાનું માઇક્રોસ્કોપ પરીક્ષણ કર્યું છે. કુલ 2,58,945 ઘરોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. 10.40 લાખ પાત્રોની ચકાસણીમાં 13,043 પાત્રોમાં મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું હતું. આ તમામ જોખમી સ્થળોનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. રોગચાળા નિયંત્રણ માટે 6.56 લાખ ક્લોરિનેશન ટેબ્લેટ અને 3,653 ઓ.આર.એસ.નું વિતરણ કરાયું છે. જિલ્લામાં 581 સ્થળે મચ્છર ખાનારી માછલીઓ મૂકવામાં આવી છે. શહેરી વિસ્તારમાં 10 વેક્ટર કંટ્રોલ ટીમના 50 સભ્યો એન્ટીલાર્વલ કામગીરી કરી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.એન. બરુઆ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. ડી.કે. ગૌસ્વામીના માર્ગદર્શનમાં આ કામગીરી થઈ રહી છે. રાજ્ય સરકારે 2027 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય રાખ્યું છે. મેલેરિયાનો અંત આપણાથી, પુનઃ રોકાણ કરો, પુનઃ કલ્પના કરો, પુનઃ જાગૃત કરો થીમ હેઠળ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આડેસર ગામમાં ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી:ત્રણ આરોપીઓના મકાનો પર ફર્યું બુલડોઝર, 42 ગુનાઓ નોંધાયેલા
રાપર તાલુકાના આડેસર ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ત્રણ શખ્સોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળાએ આ કામગીરી કરી. આરોપી અયુબ અનવર હિંગોરજાએ 3500 સ્ક્વેર ફૂટમાં સાત ઓરડી, સંડાસ-બાથરૂમ અને હોલનું બાંધકામ કર્યું હતું. નજરમામદ અયુબ હિંગોરજાના બે મકાન અને એક દુકાન તેમજ બાલા રૂપા કોળીનું એક મકાન તોડી પાડવામાં આવ્યું. આ ત્રણેય આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. અયુબ અનવર હિંગોરજા સામે 15, બાલા રૂપા કોળી સામે 21 અને નજરમામદ હિંગોરજા સામે 6 ગુના દાખલ થયેલા છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉદયપુરમાં તસ્કર અને હવાલાનો આરોપી પોતાની ફોર્ચ્યુનર કાર પર લટકાયેલાં સબ ઇન્સ્પેક્ટરને લઇને ગાડીને ગલીઓમાં દોડાવે છે. પોલીસ અને આરોપી વચ્ચે થયેલી અથડામણથી લેકસિટીના જૂના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આરોપીએ SIને ગાડીથી કચડવાની પણ કોશિશ કરી. આ દરમિયાન બોનેટ પર લટકાયેલાં SIએ આરોપી પર ફાયરિંગ કર્યું, છતાંય તેણે ગાડી રોકી નહીં. આરોપી થોડીવાર પછી એસઆઈને નીચે પછાડીને ફરાર થઈ ગયો. સોમવારે સાંજે થયેલી આ ઘટનાના સીસીટીવી આજે સામે આવ્યા છે. સૌથી પહેલાં જાણો શું છે આખો મામલો હકીકતમાં ગુજરાત પોલીસની એક ટીમ જાલોરના વોન્ટેડ ગુનેગાર સુરેશ રાજપુરોહિતની ધરપકડ કરવા ઉદયપુર પહોંચી હતી. આરોપીઓ સામે ગુજરાતમાં હવાલા, દાણચોરી અને છેતરપિંડીના કેસ પણ નોંધાયેલા છે. પાલનપુર (ગુજરાત) પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે આરોપી ઉદયપુરના શોભાગપુરા સ્થિત વેગાસ-69 ક્લબમાં છે. આરોપી ક્લબની બહાર ફોર્ચ્યુનર કારમાં બેઠો કે તરત જ એસઆઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. બદમાશે એસઆઈ જયદીપને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એસઆઈ તેમ કારના બોનેટ પર લટકીને રહ્યા, પરંતુ આરોપીએ કાર રોકી નહીં. હવે જુઓ આરોપી કાર ચલાવીને કેવી રીતે ભાગી ગયો બોનેટ પર લટકતી વખતે ફાયરિંગ થયું આરોપી લગભગ અડધો કિલોમીટર સુધી શેરીઓમાં એસઆઈ સાથે કાર ચલાવતો રહ્યો. એસઆઈ જયદીપે જણાવ્યું કે જ્યારે તેણે બોનેટ પર લટકતા સુરેશ પર ગોળીબાર કર્યો, ત્યારે તેણે ઝડપથી કાર ફેરવી અને મને નીચે પછાડી દીધો. આ પછી તે ફરાર થઈ ગયો. SI જયદીપ સરવૈયાએ સુખેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધી રહી છે. કોણ છે વોન્ટેડ આરોપી સુરેશ રાજપુરોહિત? ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ ગુનેગાર સુરેશ રાજપુરોહિત વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. આ કેસોમાં તે લાંબા સમયથી ફરાર હતો. આરોપીઓ મોટાભાગે દિલ્હી-જયપુરમાં રહેતા હતા. તેનો ભાઈ ઉદયપુરના શોભાગપુરામાં સ્થિત વેગાસ-69 બાર અને ક્લબમાં ભાગીદાર છે. તાજેતરમાં જ તેણે ભૂપાલપુરામાં કૃષ્ણ પેલેસના નામે એક હોટલ ભાડે લીધી હતી. તેથી જ સુરેશ ઉદયપુર આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો.
અમદાવાદના નારણપુરા બાદ દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક જાહેર રોડ ઉપર આવેલું શૌચાલય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. જે મામલે આખરે ત્રણ મહિના બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાર્વજનિક માલ મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા જાહેર શૌચાલય તોડી નાખવામાં આવ્યું હતું જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો- નેતાઓને જાણ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. આખરે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જો દિલ્હી દરવાજા વિસ્તારમાં જાહેર શૌચાલય તોડવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો નારણપુરા વિસ્તારમાં જાહેર શૌચાલય તોડવા મામલે ભાજપના યુવા કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે કે નહીં તે સવાલ ઉઠી રહ્યો છે. મીડિયા અહેવાલ બાદ તંત્ર જાગ્યુંશહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક ખૂણામાં એક જાહેર શૌચાલય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું હતું આ શૌચાલયનો ઉપયોગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતો હતો. ગત માર્ચ મહિનામાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ શૌચાલયને તોડી નાખવામાં આવ્યું હતું. જે તે સમયે એપ્રિલ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે માત્ર પત્ર લખીને સંતોષ માનવામાં આવ્યો હતો. જોકે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈશાહપુર વોર્ડના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 24 માર્ચ 2025ના રોજ સવારના સમયે તેઓ દિલ્લી દરવાજા લીમડા ચોક પાસે જાહેર શૌચાલય પાસે આવ્યા ત્યારે આ શૌચાલય તૂટી ગયેલી હાલતમાં હતું. આ મામલે તેઓ દ્વારા તેમના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર જીતુભાઈ પટેલ અને અન્ય અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. 24 એપ્રિલ 2025ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી. આ સમગ્ર બાબત હવે ધ્યાને આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી આ મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો તાત્કાલિક આ બાબત ધ્યાનમાં આવી હતી તો શા માટે પોલીસ ફરિયાદ તરત જ નોંધાવી નહીંછેલ્લા ત્રણ મહિનાથી આ જાહેર શૌચાલયને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને એક મહિના બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જો તાત્કાલિક આ બાબત ધ્યાનમાં આવી હતી તો શા માટે પોલીસ ફરિયાદ તરત જ નોંધાવામાં આવી નહીં. બે મહિનાથી માધુપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરવામાં આવેલી હતી તો પોલીસ દ્વારા શા માટે આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહીં કે કોઈ આ બાબતે તપાસ કરવામાં આવી નહીં. જાહેર શૌચાલય તોડવા મામલે ભાજપના યુવા કાર્યકર વિરુદ્ધ ફરિયાદ નોંધાશે કે નહીં?શહેરના દિલ્હી દરવાજા પાસે આવેલા લીમડા ચોક નજીક જાહેર શૌચાલય તોડી પાડવા મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર પાસે શ્રીજી ચાયવાલેના માલિક એવા ભાજપ યુવા મોરચાના કાર્યકર દ્વારા જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર 50,000 રૂપિયાનો દંડ અને નવું બનાવવાની બાંયધરી લઈ લેવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જો દિલ્હી દરવાજા વિસ્તારમાં જાહેર શૌચાલય તોડવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામા આવી છે તો નારણપુરા વિસ્તારમાં જાહેર શૌચાલય તોડવા મામલે યુવા કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે કે નહીં?
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેના રૂ.1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે, જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવર-જવર કરતા અઢી લાખ લોકોને ચાર કલાક જેટલો સમય થાય છે. આ સાથે જ વરસાદને કારણે રસ્તામાં ખાડાઓ પડી ગયા હોવાથી ભારે ટ્રાફિકજામ સાથે અકસ્માતો પણ થાઈ રહ્યાં છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓના મૃત્યુ થયાની પણ ઘટનાઓ બની છે. અહીંથી દરરોજ પસાર થતા અંદાજે અઢી લાખ લોકોની સમસ્યાને લઈને આજે (8 જુલાઈ) કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા કલેકટરનો ઘેરાવ કરવામાં આવશે. જેમાં એક જ માંગ છે કે, પહેલા આપો રોડ અને પછી માંગો ટોલ. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતની આગેવાનીમાં નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને રોડ નહીં તો ટોલ નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે NHAIના અધિકારીના પૂતળાનું દહન પણ કરાયું હતું. જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ કલેક્ટરનો ઘેરાવ કરશેરાજકોટ-જેતપુર હાઇવે પર ચાલી રહેલા બિનમાપદંડ વાળા સિક્સલેન હાઇવેના નિર્માણકાર્ય, અતિ બિસ્માર રસ્તાઓ, ખોટી ટોલ વસૂલાત અને સતત થતા ટ્રાફિકજામ, અકસ્માતના મામલાની સામે આજે જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવનાર છે. જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામા કાર્યકરો, કારખાનેદારો, ટેમ્પો અને ટ્રાવેલ્સ એસોસિએશનના આગેવાનો, અનેક ગામોના સરપંચો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. નિયમ વિરુદ્ધ રાજકોટથી 67 કિમીના અંતરમાં બે ટોલ બૂથરાજકોટથી જેતપુરનું અંતર 67 કિમી છે. આ દરમિયાન બે ટોલ બૂથ આવે છે, જેમાં એક કારચાલક પાસેથી 45-45 રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે. બંને ટોલ બૂથની વાર્ષિક આવક 140 કરોડની આસપાસ છે. આ હાઈવે પર પહોંચીએ તો અહીં એટલા ખાડા જોવા મળ્યા કે, કાર ડાન્સ કરે છે, તો દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ગોકળગતિએ પસાર થાય છે. રાજકોટથી 67 કિમીના અંતરમાં પ્રથમ ભરૂડી ટોલ બુથ અને બીજું જેતપુર પહેલા પીઠડ ટોલ બુથ આવે છે. આ બન્ને ટોલ બુથની વાર્ષિક આવકની વાત કરવામાં આવે તો ભરૂડી ટોલ બુથની વાર્ષિક અંદાજિત આવક 100 કરોડ આસપાસ છે. જ્યારે પીઠડ ટોલ બુથની અંદાજિત વાર્ષિક આવક 40 કરોડ આસપાસ છે. જો કે, આમ છતાં દર વર્ષે ચોમાસાની ઋતુ આવે એટલે આ રસ્તાનું ધોવાણ થઈ જાય છે અને ટોલ ટેક્સ પૂરતો આપવા છતાં વાહનચાલકોને સારા રસ્તાની સુવિધા પણ મળી શકતી નથી. રોજ 5 કિમીનો ટ્રાફિકજામ સર્જાય છેસિક્સલેન હાઇવેની કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવાતા વૈકલ્પિક માર્ગની હાલત અત્યંત બિસ્માર છે. એનાથી જનજીવન અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈકલ્પિક રસ્તાઓ ઉપર કાચો પેચવર્ક, કાદવ, ખાડા અને અનિયમિત સપાટી હોવાથી વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. ટોલ સંચાલકોના અણઆવડતપૂર્ણ વ્યવસ્થાથી ટ્રાફિકનું યોગ્ય નિયંત્રણ થતું નથી. જેના કારણે ટોલ પ્લાઝા નજીક ભારે ટ્રાફિકજામ સર્જાય છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનોના સ્પેરપાર્ટ્સના નુકસાનની ઘટનાઓ વધી રહી છે. આ સાથે જ માલવાહક વાહનોમાં ભરેલા સામાનને પણ નુકસાન પહોંચે છે. જે વેપારીઓ અને ઉદ્યોગકારો માટે નુકસાનીરૂપ છે. લોકોને સલામત માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાની કલેક્ટરની જવાબદારીટ્રાફિક જામના કારણે દરરોજ હજારો વાહનોમાં ઇંધણનો વ્યર્થ વપરાશ થાય છે, જે સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે. આ અવ્યવસ્થાના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુમાં એમ્બ્યુલન્સોને સમયસર માર્ગ ન મળતાં ગંભીર દર્દીઓને સારવાર મળી શકતી નથી, જે જીવલેણ સાબિત થાય છે. જિલ્લા હાઇવે રોડ સેફ્ટીના વડા તરીકે કલેક્ટરની ફરજ બને છે કે, તેઓ તાત્કાલિક નિર્ણય લઈ NHAI, ટ્રાફિક પોલીસવડા, પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને ટોલ સંચાલન કરતી એજન્સી પર તેમની જવાબદારીઓ મુજબ કામગીરી ફિક્સ કરી લોકોને સલામત માર્ગ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ તેવી માંગ છે. ટોલબૂથ પરથી કરોડોની વસુલાત છતાં રસ્તા ખાડાઓથી ભરેલાNH-27 પર હાલ જે સિક્સલેન હાઇવેની કામગીરી ચાલે છે, તેના બિનમાપદંડવાળા માર્ગના કામથી દૈનિક 2-3 લાખ લોકોની કામગીરી ખોરવાઈ રહી છે. ટોલબૂથ પરથી કરોડોની વસુલાત છતાં રસ્તા ખાડાઓથી ભરેલા છે. જેનાથી ચોમાસામાં જીવલેણ સ્થિતિ ઉભી થઈ છે. માર્ગ બાંધકામ વિસ્તારની સલામતી માટે આવશ્યક એવા સાઇનબોર્ડ, લાઇટિંગ વ્યવસ્થા, બેરિકેડિંગ, રસ્તા ફેરવવાના નિર્દેશો અને રિફ્લેક્ટર જેવી સાવચેતીની વ્યવસ્થાઓ ક્યાંય જોવા મળતી નથી. Rule 6(3) મુજબ કામ પૂર્ણ ન થાય ત્યા સુધી ટોલ વસૂલાત બંધ હોવી જોઈએ, પણ અહિં નિયમોના ભંગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. માત્ર 35 કિ.મી.ના અંતરે બે ટોલબૂથ કાર્યરત છે, જે માર્ગ અને પરિવહન મંત્રાલયના નિયમોનો ખુલ્લો ભંગ છે. બે ટોલબૂથની મળીને અંદાજિત વાર્ષિક આવક રૂ. 140 કરોડથી વધુ તેમ છતાં માર્ગ દયનીય કેમ છે? NHAIના rule 89 મુજબ અપૂર્ણ હાઇવે પર ટોલ વસૂલાત શક્ય નથી, છતાં વસૂલાત કેમ ચાલુ છે? તંત્રની બેદરકારીથી અવારનવારના અકસ્માતોમાં અનેક નિર્દોષો પ્રાણ ગુમાવી ચૂક્યા છે, તેના જવાબદાર કોણ? દરરોજના ટ્રાફિકજામથી વાહનચાલકોના સમયનો અને ઈંધણનો વ્યર્થ તેમજ વાહનને થતી નુકસાનની ભરપાઈ કોણ કરશે? તેવા વેધક સવાલો કર્યા હતા. કલેક્ટર સમક્ષ શું માંગ કરવામાં આવી?1. હાઇવેનું 100% કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરાય અને બિસ્માર વૈકલ્પિક માર્ગની મરામત તાકીદે કરવામાં આવે.2. ખોટી વસૂલાત માટે ટોલ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી થાય.3. બે ટોલ પ્લાઝા વચ્ચેના અંતરના નિયમો મુજબ સમીક્ષા કરવામાં આવે.4. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ, કોન્ટ્રાક્ટર અને NHAI વચ્ચે સંકલિત કામગીરી થાય.5. Work Zone માટે IRC-SP 55:2014 મુજબ ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવે.6. બિનકાયદેસર દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી થાય.7. અકસ્માતગ્રસ્તો માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ, મેડિકલ સહાય અને વળતર યોજના અમલમાં મુકવામાં આવે.8. માલવાહક અને સામાન્ય વાહનો માટે વિકલ્પરૂપ સ્મૂથ રૂટ બનાવવામાં આવે.9. ટોલ વસૂલાત માટે કયા કરાર હેઠળ, કઈ તારીખથી અને કેટલા સમય માટે મંજૂરી આપવામાં આવી છે તેનો જાહેર ખુલાસો થાય. 67માંથી માત્ર 20 કિલોમીટરનું જ કામ થયુંઉલ્લેખનીય છે કે, આ મામલે એક અઠવાડિયા પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રાજકોટથી જેતપુરનો નેશનલ હાઈવે ફોરલેનમાંથી સિક્સલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં રોડ પહોળો કરવાની કામગીરીને કારણે તેમજ વરસાદને લીધે સૌરાષ્ટ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બદલ અમે ક્ષમા માગીએ છીએ. આ ઉપરાંત અહીં ભારે ટ્રાફિકજામ પણ થાય છે, જેથી પોલીસ દ્વારા અહીં ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય કરવા માટે મદદ મળે તો સારું રહેશે. રાજકોટથી જેતપુર સિક્સલેન પ્રોજેક્ટ 67 કિલોમીટરનો છે. એમાંથી 20 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાંથી 1 ફ્લાયઓવરને ઓપન કરી દીધું છે. બીજા 3 ફ્લાયઓવર 10 દિવસમાં ખુલી જશે. જેથી જેતપુરથી જામવાડી સુધીનો રસ્તો પબ્લિક માટે ખુલ્લો મુકાઈ જશે. 1204 કરોડનો આ પ્રોજેક્ટ છે. 2 વર્ષમાં કામ પૂર્ણ કરવાની આવતી હતી પરંતુ હજુ વધુ એક વર્ષ એટલે કે જૂન 2026 સુધીમાં કામ પૂરું થશે. જોકે ખરાબ રસ્તા ને કારણે ટોલ પ્લાઝા એ લાંબી લાઈન લાગે છે અને નિયમ એવો છે કે જો 1.5 km ની લાઈન હોય અને એક ગાડીને ત્રણ મિનિટથી વધુ સમય રોકી રાખવામાં આવે તો તેમને ટોલ માંથી મુક્તિ આપવી જોઈએ જોકે તેવું થતું નથી. એક એક કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. જોકે આ બાબતનો જવાબ તેઓ આપી શકે ન હતા.
બોટાદ શહેરમાં દિવસે દિવસે વધતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પોલીસે પગલાં લીધા છે. રસ્તા અને ફૂટપાથ પર ઊભા રહેતા લોકોને કારણે નાગરિકોને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાની સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ અને સીટી ટ્રાફિક PSI ચૌધરીએ સ્ટાફ સાથે શાકમાર્કેટ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. પોલીસે વાહનચાલકોને ગાડીઓ વ્યવસ્થિત પાર્ક કરવાની સૂચના આપી હતી. જેમતેમ વાહનો પાર્ક ન કરવા અને નિયત જગ્યા પર જ પાર્કિંગ કરવા માટે સમજાવ્યા હતા. આ સાથે લારીગલ્લાવાળાઓને પણ દુકાનની બહાર વસ્તુઓ ન મૂકવાની સૂચના આપવામાં આવી હતી. આ કાર્યવાહીથી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે તેવી આશા છે.
કચ્છ જિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. નખત્રાણાના પાલરધુના ધોધ પર સલામતીના કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને જળાશયોથી દૂર રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર, સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલા તમામ નદી, નાળા, નહેર અને ચેકડેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીઓએ જળાશયોમાં સ્નાન કરવું, કપડાં ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહીં. આ ઉપરાંત, જોખમી રીતે ઊભા રહીને મોબાઈલ કે કેમેરામાં ફોટા કે સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે.
ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન:શહેર અને જેસરમાં 16-17 મિમી વરસાદ, 5 તાલુકા કોરા ધાકોર
ભાવનગર જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી હતી. સવારના 6થી 10 કલાક દરમિયાન ભાવનગર શહેરમાં 16 મિમી અને જેસરમાં 17 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પાલીતાણા અને તળાજામાં 5-5 મિમી તેમજ મહુવામાં 2 મિમી વરસાદ પડ્યો હતો. વલ્લભીપુર, ઉમરાળા, ઘોઘા, સિહોર અને ગારીયાધાર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા પાંચ દિવસમાં તાપમાન અને ભેજનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું છે. 4 જુલાઈએ મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી અને લઘુત્તમ 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 86 ટકા અને પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહી હતી. 5 જુલાઈએ મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 25.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. 6 જુલાઈએ મહત્તમ તાપમાન ઘટીને 27.7 ડિગ્રી થયું હતું અને ભેજનું પ્રમાણ વધીને 98 ટકા થયું હતું. 7 જુલાઈએ મહત્તમ તાપમાન વધીને 33.4 ડિગ્રી થયું હતું. 8 જુલાઈએ લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને પવનની ગતિ 14 કિમી પ્રતિ કલાક રહી હતી.
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વાપીમાં 5 mm અને વલસાડમાં 4 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 2.67 mm વરસાદ પડ્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં 65.40 mm વરસાદ નોંધાયો છે. ડેમના ઉપરવાસના 6 ગામોમાં સરેરાશ 10.90 mm વરસાદ પડ્યો છે. ડેમમાં પાણીની આવક 23,370 ક્યુસેટ થતાં ડેમનું લેવલ 70.20 મીટરે પહોંચ્યું છે. આ કારણે ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં 19,400 ક્યુસેટ પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં 6 લોલાઈનના રસ્તા પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 1093.67 mm વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 1447 mm, ધરમપુરમાં 1123 mm, વાપીમાં 1132 mm, ઉમરગામમાં 1016 mm, પારડીમાં 998 mm અને વલસાડમાં 846 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લા, દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજપીપળા-ડેડીયાપાડા કોર્ટમાં પોલીસે વકીલને પ્રવેશ નકારતા વિવાદ સર્જાયો હતો. જેને લઇ વિજાપુર વકીલ મંડળે પ્રમુખ કૃણાલ પી. બારોટની અધ્યક્ષતામાં બેઠક યોજી પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરી છે. બાર એસોસિયેશનના પ્રમુખ કૃણાલ બારોટે જણાવ્યું કે એડવોકેટ એક્ટ મુજબ વકીલ કોર્ટ ઓફિસર ગણાય છે. તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા એ ભારતીય બંધારણ પર સીધો પ્રહાર છે. વકીલ કોર્ટનો અવિભાજ્ય અંગ છે અને તેમને રોકવા એ ન્યાયની અવહેલના છે. વકીલ મંડળે આ કૃત્યને એડવોકેટ એક્ટ 1961 અને બંધારણની કલમ 19નું ઉલ્લંઘન ગણાવ્યું છે. મંડળે માંગ કરી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોર્ટમાં PIL દાખલ કરી પોલીસને કોર્ટનો ગેટ બંધ કરવાના કારણો પૂછવામાં આવે. વિજાપુર વકીલ મંડળે ઠરાવ કરીને આ ઘટનાને વખોડી કાઢી છે. મંડળના મતે આ માત્ર રાજપીપળા-ડેડિયાપાડા કોર્ટનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર વકીલ સમુદાય માટે ચિંતાજનક બાબત છે.
યાત્રાધામ બેચરાજી તેમજ તાલુકા વિસ્તારના અનેક ગામડાઓમાં દારૂના દુષણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.દારૂ તેમજ જુગાર હાલમાં વિસ્તારમાં એટલા હદે ફૂલ્યો-ફાલ્યો છે. નાની ઉંમરના અનેક મૃત્યુ આંકમાં વધારો,ચોરીના બનાવો,અસામાજિક તત્વો સહીતની ગેર-પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. બહુચરાજીના રૂપપુરાના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી,બહુચરાજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રૂપપુરા સહિતના ગામડાઓમાં દારુ-જુગારના દુષણો અટકાવવા રજુઆત કરી છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, રૂપપુરા ગામમાં ઘણા વર્ષોથી દેશી દારૂ તથા જુગાર જેવી બિનકાયદેસર પ્રવૃત્તિઓથી રૂપપુરા-લીલાપુરા ગામમાં નાની વયે અનેક યુવાનોના નશાના કારણે મૃત્યુ થવાથી અનેક મહિલાઓ નાની ઉંમરમાં વિધવા થવાથી વેદનાઓ ભોગવી રહી છે.જયારે તેઓના સંતાનના શિક્ષણ પર પણ માઠી અસર પડી છે. દેશી તેમજ વિદેશી દારૂના સેવન તેમજ જુગાર સહિતની પ્રવુત્તિઓથી રૂપપુરા પ્રાથમિક શાળામાં ઘણા અસામાજિક તત્વો,નશામાં ધૂત શાળાની મિલ્કતમાં નુકશાન પહોંચાડવું,ગામમાં શાંતિ ડહોળવી સહીતની ગેર-પ્રવુત્તિઓ વધી રહી છે. રૂપપુરા ગામમાં દેશી-વિદેશી દારૂનો વેચાણ તેમજ સપ્લાય ખુબ જ પ્રમાણમાં ચાલી રહ્યું છે. દુષણ એટલા હદે વધ્યું છે કે શિક્ષિત લોકો ગામ છોડી બહાર રહેવા મજબુર બન્યા છે.ગામની દીકરીઓ કોલેજ તથા માધ્યમિક શિક્ષણ અર્થે ચડાસણા,નદાસા,બલોલ,મહેસાણા સહીતના સ્થાને અભ્યાસે જાય છે. જયારે આસજોલથી રૂપપુરા વાવ વાળા રસ્તેથી આવાનું હોઈ તે રસ્તાઓ સહીત સ્થાને અસામાજિક તત્વો આંટા-ફેરા મારતાં હોઈ ત્યાંથી પસાર થવું ડર ભર્યું તેમજ ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે કાયદેસરની કાર્યવાહી તેમજ રૂપપુરા ગામના દેશી દારૂની ભઠ્ઠીઓ વાળા આસજોલ,કરણપુરા,ધનપુરા,ચડાસણાં,ઈન્દ્રપ,મરતોલી,રાંતેજ, વિસ્તાર સહીત નજીકની કંપનીઓ ખુલ્લેઆમ દારૂનો સપ્લાય કરી રહ્યા છે તેને સંપૂર્ણ અટકાવવા આવેદન પત્રમાં જણાવાયું છે. યાત્રાધામ બેચરાજી સહિતનો વિસ્તારમાં અનેક ઉદ્યોગ સ્થપાયા છે.પર-પ્રાંતીઓ રોજગાર અર્થે હજારોની સંખ્યામાં વસવાટ કરે છે.પણ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે.જેથી તાલુકા સહિત ગ્રામ્યોમાં ચોરી,લૂંટ સહીત અસામાજિક પ્રવુત્તિઓમાં વધારો થયો છે.અગાઉ પણ ખુલ્લેઆમ દારૂનો વેચાણ બહુચરાજીમાં થતું હોવાના વીડિયો વાયરલ થયા હતા.યાત્રાધામ તેમજ ગામડાઓમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ સ્થાનિક બેચરાજી પોલીસ રહેમ નજર હેઠળ થતું હોવાની અનેક ચર્ચાઓ વિસ્તારમાં થઇ રહી છે.
MGVCLના કર્મચારીનું કરંટ લાગવાથી મોત:મહીસાગરમાં વીજ લાઈન રિપેરિંગ વખતે જમ્પર તૂટ્યો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. લીંબડીયા રણજીતપુરા વિસ્તારમાં MGVCLના કર્મચારી વી.જી. તાવિયાડનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. તાવિયાડ વીજ લાઈનનો ફોલ્ટ રિપેર કરી રહ્યા હતા. સ્વીચ આપતી વખતે ઉપરથી અચાનક જમ્પર તૂટી પડ્યો. આ દરમિયાન તેમને કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. તેમને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં MGVCLના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં મેડિકલ ફેકલ્ટી માટે નવા ડીન અને બે એસોસિએટ ડીનની નિમણૂક કરવામાં આવી છે. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટની જોગવાઈ હેઠળ આ નિમણૂકો કરી છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગરના ડીન ડૉ. મનીષ આર. રામાવતને મેડિકલ ફેકલ્ટીના નવા ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસોસિએટ ડીન તરીકે ભાંડુ નર્સિંગ કોલેજના આચાર્ય ડૉ. ડાહ્યાલાલ ડી. પાટીદાર અને મહેસાણાની હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડૉ. યશવંત પી. પટેલની પસંદગી કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરાયેલા ડીન અને એસોસિએટ ડીનનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. જો કે, તેમની ઉંમર 62 વર્ષ થતાં આ પદ પરથી નિવૃત્ત થવું પડશે.
સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામની 25 વર્ષીય યુવતીએ ઘરેલુ હિંસાના કારણે ફિનાઈલ પી લીધું હતું. યુવતીએ સરસ્વતી તાલુકાના એક યુવક સાથે ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતા. યુવતીના જણાવ્યા મુજબ, લગ્ન બાદ માત્ર પાંચ દિવસ જ સાસરીમાં રહી હતી. ત્યારબાદ તેના પતિ તેને પિયર મૂકી ગયા હતા. પતિ વારંવાર તેના ઘરે આવતા-જતા રહેતા અને એક વખત તેને અમદાવાદ ફરવા પણ લઈ ગયા હતા. પતિએ યુવતી પર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા કરવાનું શરૂ કર્યું. તેઓ આરોપ લગાવતા કે યુવતી ફોન પર સારી રીતે વાત નથી કરતી. પતિએ યુવતીનો ફોન છીનવી લીધો અને મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું. પતિના અન્ય સગાઓ પણ યુવતીને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને યુવતીએ 1 જુલાઈ 2025ના રોજ સાંજે પાંચ વાગ્યે ફિનાઈલ પી લીધું હતું. ઉલટીઓ થતાં તેને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પાટણ શહેરમાં આગામી સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે પાંચ મુખ્ય અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. સિવિલ એન્જિનિયર મોનિલ પટેલને વરસાદી પાણીની લાઈનોની સફાઈ અને ભુવા પુરવાની જવાબદારી અપાઈ છે. વોટર વર્ક્સ ક્લાર્ક ભરત મોદીને પાણી પુરવઠો અને ક્લોરિનેશનની વ્યવસ્થા સંભાળવાની રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરવાની પણ તેમની જવાબદારી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને શહેરમાં સફાઈ ઝુંબેશ અને રોગચાળા નિયંત્રણની કામગીરી સોંપાઈ છે. ઢોર ડબ્બા શાખાના હિમાંશુ સોલંકીને રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવાની રહેશે. સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ ફાયર ટીમને સજ્જ રાખવાની છે. તરવૈયાઓની ટીમને એલર્ટ મોડમાં રાખવાની અને 24x7 કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની જવાબદારી તેમને સોંપાઈ છે. તમામ અધિકારીઓએ રજા મંજૂર કરાવ્યા વિના હેડક્વાર્ટર છોડવાનું નથી. કોઈપણ આપત્તિને પહોંચી વળવા તેમણે 24 કલાક મોબાઈલ ચાલુ રાખવાનો રહેશે.
વલસાડમાં લમ્પી વાયરસનો પ્રકોપ:8 પશુઓના સેમ્પલ પોઝિટિવ, 5500થી વધુ પશુઓનું વેક્સિનેશન
વલસાડ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝનો પ્રકોપ વધી રહ્યો છે. ઉમરગામ અને વાપી તાલુકામાં છેલ્લા 20 દિવસમાં એક વર્ષથી નાની ઉંમરના રખડતા પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા છે. ઉમરગામમાં 20 અને વાપીના રાતા પાંજરાપોળમાં 9 શંકાસ્પદ પશુઓને તાત્કાલિક સારવાર અપાઈ છે. અમદાવાદની લેબોરેટરીમાં મોકલાયેલા 8 પશુઓના સીરમ, બ્લડ અને નોઝલ સ્વાબના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. ઉમરગામમાં 3000, વાપીમાં 1000 અને વલસાડ તાલુકામાં 1500 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. દરેક તાલુકામાં બે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો લમ્પીના લક્ષણો ધરાવતા પશુઓની શોધખોળ, સારવાર અને વેક્સિનેશનની કામગીરી કરી રહી છે. ફણસાગામના ઉપસરપંચના જણાવ્યા મુજબ ગામમાં 28 પશુઓના લમ્પી વાયરસને લઈને મોત થયા છે. આ મોતની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. પશુપાલન વિભાગે લોકોને અપીલ કરી છે કે લમ્પીના લક્ષણો ધરાવતા પશુઓને તંદુરસ્ત પશુઓથી અલગ રાખવા. સાથે જ તેમની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. રોગનું સંક્રમણ અટકાવવા માટે માખી અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાની સૂચના પશુપાલકોને આપવામાં આવી છે. પશુ ચિકિત્સક વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં રખડતા ઢોર અને પશુપાલકો ને ત્યાં જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 0થી 3 વર્ષના પશુઓનું રસીકરણ બાકી હોવાથી લમ્પી વાયરસનું સંક્રમણ અટકાવવા રસીકરણ અને સર્વેની કામગીરી હાથ ધરી છે. લમ્પી સંક્રમિત પશુઓને અન્ય પશુઓથી અલગ રાખવા અને પશુપાલકોએ જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
વલસાડમાં ખરીફ સીઝનની શરૂઆત:75 હજાર હેક્ટરમાં ડાંગર, 8 હજાર હેક્ટરમાં તુવેર-અડદનું વાવેતર થશે
વલસાડ જિલ્લામાં ચોમાસાની સીઝન દરમિયાન ખેડૂતોએ ખેતીકામ શરૂ કરી દીધું છે. જિલ્લામાં કુલ 75 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી કરવામાં આવશે. હાલમાં 10 ટકા વિસ્તારમાં ફેર રોપણી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં અન્ય પાકોમાં 5 હજાર હેક્ટર વિસ્તારમાં તુવેર અને 3 હજાર હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે. આ ઉપરાંત 6 થી 7 હજાર હેક્ટર જમીનમાં લીલાં શાકભાજીનું વાવેતર થવાની સંભાવના છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને બિયારણની ખરીદી વખતે સાવચેતી રાખવા સૂચના આપી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ પ્રમાણભૂત અને ગુણવત્તાયુક્ત બિયારણનો જ ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. જિલ્લામાં વાવણીલાયક સારું વાતાવરણ હોવાથી આગામી દિવસોમાં વાવેતરનું પ્રમાણ વધવાની આશા છે. ડાંગર વલસાડ જિલ્લાનો મુખ્ય પાક છે અને ચોમાસા દરમિયાન અન્ય પાકોનું વાવેતર પણ વધશે.
રાજકોટની 19 લાખની ચોરીનો આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર LCBએ વઢવાણથી 1 લાખ રોકડ સાથે આરોપીને પકડ્યો
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 18.95 લાખની ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રાકેશભાઇ પેથાભાઇ દેવીપુજકને વઢવાણથી પકડવામાં આવ્યો છે. તેની પાસેથી રૂ. 1 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સપેક્ટર જે.જે. જાડેજા અને પોલીસ સબ ઇન્સપેક્ટર જે.વાય. પઠાણની ટીમે બાતમીના આધારે આ કામગીરી કરી હતી. આરોપી રાકેશભાઇ સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારના વહાણવટીનગરમાં રહે છે. તેની સામે અગાઉ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં ચોરી, ઘરફોડ ચોરી અને હથિયાર ધારા હેઠળના કેસનો સમાવેશ થાય છે. આ કેસમાં એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. જાડેજા, PSI જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના PSI આર.એચ. ઝાલા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીને વધુ કાર્યવાહી માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ચોમાસા દરમિયાન સુરત મહાનગરપાલિકા માટે સૌથી મોટો પડકાર પાણીનો ભરાવો હોય છે. જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય હોય છે. ત્યારે હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. હવે હાર્ડ રિચ પોઇન્ટ પર કે જ્યાં કર્મચારીઓ નહીં પહોંચી શકે ત્યાં ડ્રોનથી સર્વેલન્સ અને દવા છાંટવાની કામગીરી કરાશે. ડ્રોન દ્વારા સર્વેલન્સ અને દવા છાંટવાની કામગીરીસુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ શરૂ કર્યો છે. શહેરની અંદર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ફિઝિકલી કર્મચારીઓ દ્વારા પહોંચવું મુશ્કેલ બની જાય છે ત્યાં ડ્રોનથી કામગીરી કરાશે. ચોમાસા દરમિયાન શહેરની બહારના વિસ્તારોમાં મોટાભાગે આ મુશ્કેલી જોવા મળે છે. લોકોની અવરજવર નથી તેવા સ્થળોએ કામગીરીસૌથી વધુ મચ્છરોનો ઉપદ્રવ એવા સ્થળ પર હોય છે કે જ્યાં લોકોની અવરજવર રહેતી નથી અથવા તો એવા ઘણા મકાનો હોય છે કે જ્યાં લોકો રહેતા હોતા નથી. ઘણા એવા પરિવાર હોય છે જે સ્થળાંતર કરીને અન્ય વિસ્તારોમાં રહેવા જતા રહેતા હોય છે પરંતુ તેમના ઘરે ચોમાસા દરમિયાન જે પાણીનો ભરાવો ટેરેસમાં કે અન્ય આસપાસની જગ્યામાં રહેતો હોય છે તે દૂર કરી શકાતો નથી. આવી સ્થિતિમાં પાલિકા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને તેવા સ્થળોને શોધી જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે જેથી કરીને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય. 3 ઝોનમાં 115 લોકેશન ટ્રેસ કરાયાડેપ્યુટી હેલ્થ કમિશનર દિનેશ ગુરવે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે જે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ વ્યક્તિ સાફ-સફાઈની કે દવા છાંટવાની કામગીરી કરી શકતી નથી ત્યાં ડ્રોન ખૂબ સારી રીતે કામ કરી શકે છે. કતારગામ, સેન્ટ્રલ ઝોન અને સરથાણા ઝોનમાં હાર્ડ રિચ પોઇન્ટ છે ત્યાં કામગીરી કરવામાં આવી છે. 115 જેટલા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા છે જેમાં 10 કરતાં વધારે લોકેશન ઉપર કામગીરી પૂર્ણ કરી છે અને આ કામગીરી ચોમાસા દરમિયાન ચાલુ રહેશે. એટલું જ નહીં પરંતુ અમે સતત અત્યાર સુધીમાં 78,000 જેટલા મકાનોનો સર્વે કરી લીધો છે. જેમાં 2.67 હજાર વસ્તીનો સર્વે કરી લીધો છે. સતત પાણીના સેમ્પલો પણ લઈ રહ્યા છીએ અને તેની તપાસણી બાદ જરૂર જણાય ત્યાં કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. 12 દિવસમાં ઝાડા-ઊલટી અને તાવથી 10નાં મોતસુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી રહ્યા છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત 10નાં મોત થયાં છે. શહેરમાં મોસમી રોગોના 733 દર્દીજૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં 223 મલેરિયા અને 113 ડેન્ગ્યૂ સહિત મોસમી રોગોના કુલ 733 દર્દી દાખલ થયા છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10થી 12 ટકાનો વધારો થયો છે. વરસાદી પાણીતી મચ્છરજન્ય રોગચાળો વધ્યોવરસાદની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યૂ, શરદી, ફ્લૂ વાઇરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી-પ્રવેશ્યાં હતાં. એ જ સમયે સોસાયટીઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યૂ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જૂન મહિનામાં સુરત સિવિલમાં દાખલ દર્દીઓ 15 દિવસમાં 10થી વધુ લોકોનાં મોતછેલ્લા 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અત્યારસુધીમાં 10થી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાંડેસરા, ભેસ્તાન, પુણાગામ, ગોડાદરા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. 26 જૂનપૂનાગામ સીતાનગરમાં આશાનગર સોસાયટીમાં રહેતા સોનુભાઈ કુશવાહાની 45 દિવસની પુત્રી રોશનીને બે દિવસથી તાવ હતો. તેને ઝાડા પણ થવા લાગ્યા હતા. પરિવાર તેને સ્મિમર હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરે રોશનીને મૃત જાહેર કરી હતી. સોનુ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલમાં સુરતમાં રહે છે અને મિસ્ત્રી કામ કરે છે. 27 જૂનગોડાદરાની સંતોષ નગર સોસાયટીમાં રહેતા પ્રદીપ જયસ્વાલની પત્ની 26 વર્ષીય એન્ટિમા ઝાડા-ઊલટી અને તાવથી પીડાતી હતી. ઘરે બેભાન થયા બાદ તેને સ્મીમર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતુ. પ્રદીપ મૂળ ઉત્તરપ્રદેશનો છે અને સુરતમાં નાસ્તાની ગાડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 29 જૂનવરાછા હીરાબાગ જલક્રાંતિ ગ્રાઉન્ડ પાસે હરિદર્શન એપાર્ટમેન્ટમાં તેના સાળા સાથે રહેતી કૃષિબેન છેલ્લા બે દિવસથી ઝાડા-ઊલટીથી પીડાતી હતી. તેની તબિયત વધુ ખરાબ થતાં તે ઘરે બેભાન થઈ ગઈ. તેને 108 એમ્બ્યુલન્સમાં સ્મીમર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું. તે મૂળ નવસારીના વાંસદાની રહેવાસી હતી. 1 જુલાઈ50 વર્ષીય રાકેશ પ્રેમ અરોરા 6 દિવસ પહેલા સુરતના ભેસ્તાન આશીર્વાદ પાર્ક એમ્બ્રોઈડરી ફેક્ટરીમાં કામ કરવા આવ્યો હતો. તેને બે-ત્રણ દિવસથી તાવ હતો. રાત્રે સૂઈ ગયા બાદ તે સવારે ઉઠ્યો ન હતો. 2 જુલાઈડિંડોલીની પ્રતીક રેસિડેન્સીમાં રહેતા 60 વર્ષીય ચંદાબેન મનસુખ મોદીને તાવ અને ઊલટી થતી હતી. તેમને બેભાન અવસ્થામાં સ્મીમર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. 3 જુલાઈસુરતના પાંડેસરા વિસ્તારમાં બે વર્ષીય નિધિ રામુ નિષાદ પરિવાર સાથે રહેતી હતી. નીતિને બે ત્રણ દિવસથી ઝાડા-ઊલટી થઈ રહ્યા હતા. જેથી તેને રાત્રે 1:00 વાગે 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટૂંકી સારવારમાં નિધિનું મોત નીપજ્યું હતું. બે વર્ષની દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 4 જુલાઈકાપોદ્રા વિસ્તારમાં સાઈ નાથ સોસાયટીમાં રહેતા વિનય નિષાદની 25 વર્ષીય પત્ની પ્રિયંકાને બે દિવસથી અચાનક ઊલટી-ઝાડા થવા લાગ્યા હતા. આ કારણે પરિવારના સભ્યો તેમને દવાઓ લાવતા રહ્યા અને આપતા રહ્યા. દરમિયાન, તેમને એક દિવસથી તાવ આવવા લાગ્યો. બાદમાં તેમને સ્મીમર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. 5 જુલાઈઅમરોલીના કોસાડ આવાસમાં રહેતો 27 વર્ષેનો દિપક સુરેન્દ્ર પગારે બે દિવસથી તાવ આવતો હતો અને હાથ-પગ દુ:ખતા હતા. જેથી તેની સ્થાનિક દવાખાનામાંથી દવા લાવતા હતા. શુક્રવારે સાંજે તેની વધુ તબિયત લથડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે દીપક આઇસ્ક્રીમની દુકાનમાં નોકરી કરતો હતો. 5 જુલાઈભેસ્તાન ખાતે આવેલા આવાસમાં રહેતી 15 વર્ષીય રોઝીના શેખ યુસુફ બે દિવસથી તાવ સહિતની બીમારીથી પીડાતી હતી. ગત રાતે તેની વધુ તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે રોજીનાએ ધો. નવની પરીક્ષા પાસ કરીને ધો.10માં આવી છે. તેના પિતા રિક્ષા ચલાવે છે. 6 જુલાઈપુણા ગામ ખાતે આવેલ ભવાની કોમ્પલેક્ષ મા રહેતા સહદેવ ભાઈ ચૌધરી કરિયાણાની દુકાન ચલાવી પત્ની 38 વર્ષીય આશાબેન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. સહદેવ ભાઈની પત્ની આશાબેનને બે ત્રણ દિવસથી તાવ અને ઝાડા થઈ રહ્યા હતા. જેથી પરિવારજનો ઘર નજીકના દવાખાનેથી સારવાર કરાવતા હતા. દરમિયાન રવિવારે સવારે આશાબેનની તબિયત વધુ લથડતાં તેમને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આશાબેનનું આકસ્મિક મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયતમાં કૌભાંડ:કોન્ટ્રાકટરે બેંકની બનાવટી FDR રજૂ કરી 8.23 લાખનો વર્ક ઓર્ડર મેળવ્યો
પાટણ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કોન્ટ્રાકટર જીતેન્દ્ર ફલાભાઈ પટેલે બનાવટી બેંક FDR દ્વારા રૂ. 8.23 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગે સિધ્ધપુર તાલુકાના કલ્યાણાથી નિદ્રોડા રોડનું કામ રૂ. 280 લાખમાં મંજૂર કર્યું હતું. આ કામ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીતેન્દ્ર પટેલે સૌથી નીચા ભાવ ભર્યા હતા. 30 જૂન 2023ના રોજ ટેન્ડર મંજૂર થયા બાદ, કોન્ટ્રાકટરે રૂ. 8,23,100ની ડિપોઝિટ અને રૂ. 34,000ના સ્ટેમ્પ રજૂ કરવાના હતા. જીતેન્દ્ર પટેલે 18 સપ્ટેમ્બર 2023ના રોજ પાલનપુરની HDFC બેંકની બનાવટી FDR રજૂ કરી. તેમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, પરંતુ તેમણે કામ શરૂ કર્યું નહીં. પાટણ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના સીનિયર ક્લાર્ક દિપકકુમાર જાદવે આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સિધ્ધપુરના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે વારંવાર લેખિત અને મૌખિક સૂચના આપવા છતાં કોન્ટ્રાકટરે કામ શરૂ કર્યું નથી.
ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ-નરાળી વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કાર પકડાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે માલવણ તરફથી એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ આવી રહી છે. પોલીસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા આ કારનો પીછો કર્યો હતો. વિરેન્દ્રગઢ-નરાળી વચ્ચે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે કારમાંથી મળેલો વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,14,933નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ધ્રાંગધ્રા હાઈવે પરથી અનેક ફોરવ્હીલ ગાડીઓમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યા છે. આ કિસ્સો પણ તેમાંનો એક છે, જો કે આ વખતે પોલીસે મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મેળવી છે.
સડલા શાળામાં આચાર્યનું ગેરવર્તન:9 વિદ્યાર્થિનીઓ સાથે છ મહિનાથી ગેરવર્તન, પોલીસ ફરિયાદની તૈયારી
પાટડી તાલુકાના સડલા ગામની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આચાર્ય હરેશ પ્રજાપતિ છેલ્લા છ મહિનાથી 9 વિદ્યાર્થિનીઓ સાથે અયોગ્ય વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. બે દિવસ પહેલા વિદ્યાર્થિનીઓએ તેમના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. આ વાત જાહેર થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. મહિલાઓ સહિતના ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા અને આચાર્યનો ઘેરાવ કર્યો હતો. આચાર્યએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તે માત્ર વિદ્યાર્થિનીઓના ડ્રેસનું કાપડ ચેક કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ તાત્કાલિક સડલા પહોંચી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસ આચાર્યને પાટડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પીઆઇ બી.જી. છત્રાલીયાએ જણાવ્યું કે બનાવની નોંધ લેવામાં આવી છે અને જન્મનો દાખલો રજૂ થયા બાદ ગુનો દાખલ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી કરી છે. બીઆરસી મહેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, વિભાગીય ટીમે શાળાની મુલાકાત લીધી છે અને તપાસ રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે. સરપંચ નવઘણભાઈ ઠાકોરે જણાવ્યું કે એસએમસીની મીટિંગમાં નિયમિત હાજરી આપવા છતાં આ બાબત અત્યાર સુધી સામે આવી ન હતી. હાલમાં રાજકીય આગેવાનો દ્વારા બંને પક્ષે સમાધાન કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટીની નામના આપવામાં આવી છે, પરંતુ આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં રહેતા 2000 લોકો આજેપણ ગટરના ગંદા પાણીની વચ્ચે જીવી રહ્યા છે. ખાવા અને પીવા માટેનું પાણી ભરવા માટે ગટર અને કેમિકલ યુક્ત ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. લોકો પોતાના હાથમાં બેડા, પાણીની ડોલ સહિતની વસ્તુઓ લઈને ગોઠળ સુધીના ગટરના ગંદા પાણીમાં પસાર થઈને પીવાનું પાણી ભરવા જાય છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપની સત્તા હોવા છતાં પણ મધુમાલતી આવાસ યોજનાના લોકોની સમસ્યાનો નિકાલ થઈ શક્યો નથી. વગર વરસાદે પણ મધુમાલતી આવાસમાં ગટરીયા પાણીની સમસ્યાશહેરના નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક ઔડા દ્વારા બનાવવામાં આવેલા મધુમાલતી આવાસ યોજનાના મકાનો આવેલા છે, જેમાં 2000 જેટલા લોકો રહે છે. છેલ્લા 10 વર્ષથી નિકોલ મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા થાય છે. બે ઇંચથી વધુ વરસાદ પડે એટલે આખા મધુમાલતીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે. લોકોને બહાર જવામાં પણ તકલીફ પડે છે. હવે વગર વરસાદે પણ મધુમાલથી આવાસ યોજનામાં ગટર અને કેમિકલવાળા ગંદા પાણી ભરાઈ જાય છે. આસપાસના ગટરના અને ફેક્ટરીઓ તેમજ અન્ય કેમિકલ યુનિટ દ્વારા ગટરમાં ગેરકાયદે કનેક્શન કરી લેવામાં આવ્યા છે, જેના કારણે તેના છોડાતા ગંદા પાણી ઉભરાઈને સીધા મધુમાલતીમાં આવાસમાં જાય છે. બહાર જવુ હોય તો પણ સમસ્યા, રહીશોની નર્કાગાર જેવી સ્થિતિ!છેલ્લા 15 દિવસથી દરરોજ મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં ગટરના અને કેમિકલના ભણેલા ગંદા પાણી ભરાઈ જાય છે. લોકોને આવા ખરાબ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિક નાગરિકો પોતાના ઘરમાં પીવા અને ઉપયોગ કરવા માટેનું પાણી ભરવા માટે પણ ગટરના ગંદા પાણીમાં ચાલીને જાય છે. જો થોડું પણ પાણી તેમાં મિક્સ થઈ જાય તો લોકો બીમાર પડે એવી સ્થિતિ મધુમાલતી આવાસ યોજનામાં છે. મધ્યમ વર્ગીય પરિવારના લોકો આજે નર્કાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. જો લોકોને ઘરની બહાર જવું હોય તો ટ્રેક્ટર અથવા કોઈ મોટા વાહનનો સહારો લેવો પડે તેવી સ્થિતિ જોવા મળે છે. કેટલાક લોકો તો વરસાદી પાણી ભરાવવાના કારણે ત્યાંથી અન્ય જગ્યાએ પણ થોડા દિવસ માટે ભાડે રહેવા જતા રહ્યા છે. એસી ઓફિસોમાં બેસતા અધિકારી-નેતાઓના પેટનું પાણી પણ નથી હલતુંનિકોલ મધુમાલતી આવાસ યોજનામાં રહેતા નાગરિકો નર્કાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતાઓનું પેટનું પાણી હલતું નથી. અધિકારીઓ અને નેતાઓ એસી ઓફિસમાં બેસી રહે છે, પરંતુ વર્ગના નાગરિકો આજે પોતાના જીવના જોખમે ગટરના એસિડવાળા કેમિકલ યુક્ત પાણીમાં જીવી રહ્યા છે. નિકોલ વિસ્તાર દસ્ક્રોઇ વિધાનસભામાં આવે છે. ભાજપના છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી દસ્ક્રોઇના જ ધારાસભ્ય રહેલા બાબુભાઈ જમનાદાસ પટેલ (BJP)ને આ મામલે રજૂઆત કરી ચૂક્યા છે. નિકોલ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરી છે, છતાં પણ તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. મેઈન ટ્રંકલાઇનનું કામ પણ ધીમી ગતીએમ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પૂર્વ વિસ્તારમાં નાખવામાં આવતી ઈસ્ટર્ન મેઈન ટ્રંકલાઈન નાખવામાં આવશે, ત્યારબાદ મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાવવાની સમસ્યા દૂર થઈ જશે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે હાલમાં આ સમસ્યાનો નિકાલ કરી શકી નથી. છેલ્લા એક મહિનાથી મેઈન ટ્રંકલાઇનનું કામ ચાલુ છે અને વરસાદના કારણે અટકાયુ છે તેવી વાતો કરે છે. પરંતુ એક તરફ ચોમાસું છે અને વરસાદ આવશે તો કામગીરી નહીં થાય તે મુજબ ઝડપી કામગીરી કરવાની હોય તેની જગ્યાએ ધીમી કામગીરી થતા આજે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. મધ્યમ વર્ગના નાગરિકો પરેશાન છે, પરંતુ ભાજપના નેતા અને અધિકારીઓને કંઈ જ પડી નથી.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામમાં ગત રાત્રે વરસાદના કારણે એક કાચું મકાન ધરાશયી થયું. આ ઘટનામાં ત્રણ ભેંસના મોત નીપજ્યા છે. વણકર ધૂળાભાઈના કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં કાટમાળમાં ઘરવખરી અને પશુઓ દબાયા હતા. પરિવારના પાંચ સભ્ય ઘરની બહાર બેઠા હતા તે સમયે આ ઘટના બની. આથી પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. પશુપાલન અને ખેતી પર નિર્ભર આ પરિવાર માટે આ મોટો આર્થિક ફટકો છે. આવકનું મુખ્ય સાધન એવી ત્રણ ભેંસોના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. તલાટી અને સરપંચને જાણ થતાં તેમણે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આવા જોખમી કાચા મકાનોનો સર્વે કરી યોગ્ય પગલાં લેવામાં આવે તો ચોમાસા દરમિયાન આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે.
દારૂના વેપલા પર SMCની રેડ:ચાંચબંદરમાંથી ₹2.73 લાખનો વિદેશી-દેશી દારૂ જપ્ત, બે આરોપી ફરાર
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા ચાંચબંદર ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. આઈજી નિરલિપ્ત રાયની આગેવાની હેઠળની ટીમે ગોબરભાઈ વીજાભાઈ શિયાળ અને પાનુબેન મનસુખભાઇ ગુજરીયાના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટીમે ₹1.87 લાખની કિંમતની 488 બોટલ ઈંગ્લિશ દારૂ અને બિયર જપ્ત કર્યા છે. આ ઉપરાંત ₹36,000ની કિંમતનો 180 લિટર દેશી દારૂ અને ₹45,000ની કિંમતનો 1800 લિટર આથો પણ મળી આવ્યો હતો. કુલ ₹2.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. PSI વી.એન.જાડેજાની ટીમે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ અગાઉ ગઈકાલે જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંચેયા ગામમાં SPની લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી દારૂની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં દારૂનું પ્રમાણ વધતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડાથી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન અને સમગ્ર દરિયાઈ વિસ્તારના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજે માનસિક આરોગ્ય અને મગજની કાર્યક્ષમતાને સમજવા માટે 'ન્યુરોમ' નામની નવી એપનું લૉન્ચિંગ કરવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલપતિના હસ્તે લૉન્ચ થયેલી આ એપ Brain-Computer Interface (BCI) ટેકનોલોજી પર આધારિત છે. CerboTech Education Pvt. Ltd. નામના સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલી આ એપ, સરદાર પટેલ સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોરશીપ કાઉન્સિલ (SPSEC)માં ઇન્ક્યુબેટ થઈ છે. સ્ટાર્ટઅપની સ્થાપક શ્વેતા પ્રજાપતિ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. 'ન્યુરોમ' એપ Brain Neuro Test (BNT) રિપોર્ટ દ્વારા યુવાનોના ફોકસ, યાદશક્તિ, ક્રિયેટિવિટી અને માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરે છે. એપ વ્યક્તિગત રીતે ડિજિટલ માર્ગદર્શન આપે છે. આ માર્ગદર્શન શિક્ષણ અને કારકિર્દી બંનેમાં મદદરૂપ થઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ આ સ્ટાર્ટઅપની પ્રશંસા કરી છે. IIT ગાંધીનગર અને બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થે પણ આ એપને માન્યતા આપી છે. લૉન્ચિંગ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિભાગીય વડાઓ, કોલેજોના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી હાજર રહ્યા હતા. આ પહેલ માનસિક આરોગ્યના પ્રશ્નો સામે આણંદની યુવતીનો અભિનવ અભિગમ દર્શાવે છે.
દારૂની હેરાફેરી કરતી ક્રેટા ઝડપાઈ:જૈનાબાદથી ફતેપુર સુધી પોલીસનો પીછો, 5.76 લાખનો વિદેશી દારૂ જપ્ત
દસાડા પોલીસે જૈનાબાદ ત્રણ રસ્તા પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર પકડી પાડી છે. ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર વાય.જી.ઉપાધ્યાય અને તેમની ટીમ જનરલ નાઇટ રાઉન્ડમાં હતી. જૈનાબાદ ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન એક કાળા કલરની ક્રેટા કાર (GJ-01-HZ-8926) શંકાસ્પદ રીતે પસાર થઈ. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલક કાર લઈને પાટડી તરફના હાઈવે પર ભાગી નીકળ્યો હતો. પોલીસે કારનો પીછો કર્યો ત્યારે ચાલકે યુ-ટર્ન લઈને જૈનાબાદથી વીસાવડી તરફ કાર દોડાવી. ઝિંઝુવાડા પોલીસની મદદથી ફતેપુર ગામ પાસેથી ખાલી કાર મળી આવી. કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,642 બોટલ અને 468 બિયર ટીન મળી આવ્યા. કુલ દારૂનો જથ્થો 5,76,825 રૂપિયાનો છે. પોલીસે 7 લાખની કિંમતની ક્રેટા કાર સહિત કુલ 12,76,825 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર વાય.જી.ઉપાધ્યાય, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ, જીઆરડી મહેબુબખાન શેરખાન તથા ઝિંઝુવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માદા એડીસ ઈજિપ્ત મચ્છરથી ફેલાતા ડેન્ગ્યુના રોગને નિયંત્રણમાં રાખવા માટે વિભાગ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલના જણાવ્યા અનુસાર, હાઈરિસ્ક એરિયામાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પાણીના પાત્રોની સફાઈ, મચ્છર ઉત્પત્તિના સ્થાનોની શોધ, ટેમીફોર્સ દ્રાવણનો ઉપયોગ અને ફોગિંગનો સમાવેશ થાય છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. વરસાદની બદલાતી પેટર્ન અને ઔદ્યોગિક સ્થળાંતર ડેન્ગ્યુના કેસોમાં વધઘટ માટે જવાબદાર છે. એડીસ મચ્છરના કરડ્યાના 5-6 દિવસ બાદ તાવના લક્ષણો દેખાય છે. સમયસર સારવાર ન લેવાથી ફેફસામાં પ્રવાહી ભરાવાનું જોખમ રહે છે. આ સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સલાહ આપવામાં આવે છે કે ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગો વિશે વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય કર્મચારીઓ અથવા આશા બહેનોનો સંપર્ક કરવો. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં 15 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા. યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી કોલેજો પાસેથી રૂ. 5,000નો કોડ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાયો. લાઇબ્રેરીયન રજનીભાઈ પટેલનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં તેમને કાયમી કર્મચારી તરીકે નિમણૂક અપાઈ. આ ઉપરાંત ફિક્સ પગારથી ફરજ બજાવતા પાંચ ક્લાર્કને પણ કાયમી કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની ERP સિસ્ટમ સંચાલિત કરતી એજન્સીની કામગીરીમાં કેટલીક ખામીઓ અંગે રજૂઆતો આવી હતી. કુલપતિએ આ અંગે કરાવેલી તપાસનો રિપોર્ટ કારોબારીમાં રજૂ કરાયો. રિપોર્ટમાં કરાયેલા સૂચનો અંગે એજન્સીનું ધ્યાન દોરવામાં આવશે. બેઠકમાં કારોબારી સમિતિના સભ્ય અને વાવ રાણા ગજેન્દ્રસિંહના માતૃશ્રીના તાજેતરમાં થયેલા અવસાન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વધુમાં, બે નવા દાતાઓ દ્વારા આપવામાં આવનાર ગોલ્ડ મેડલનો સ્વીકાર કરવામાં આવ્યો. બેઠકમાં રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ, કારોબારી સભ્યો એમ.કે. પટેલ, ડો. એસ.એ. ભટ્ટ, ડો. કોકિલાબેન પરમાર, ડો. કે.કે. પટેલ સહિતના સભ્યો અને યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ઓડિટોરિયમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજ્યો. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થયો. આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સુહાગ પંચાલે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં ધોરણ 10ના 10 અને ધોરણ 12ના 15 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ વિદ્યાર્થીઓએ 70% થી વધુ ગુણ મેળવ્યા હતા. સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 71 શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપવાનો હતો. ખાસ કરીને ધોરણ 12 પછી કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી. સુહાગ પંચાલે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન કર્યું. વિદ્યાર્થીઓએ સેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી થઈ. રાજકીય, સામાજિક, પત્રકારત્વ અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરાયું. જિલ્લાના વિવિધ ગામોમાંથી લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ દારૂની હેરાફેરી કરતા એક નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને પકડી પાડ્યો છે. આરોપી અમદાવાદનો રહેવાસી કૃષ્ણરાજ ગોહિલ છે. કૃષ્ણરાજ ગોહિલ PSIનો બનાવટી આઈકાર્ડ અને ખાખી વર્દી પહેરીને દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતો હતો. તે અમદાવાદ ઝોનના DCP દ્વારા આઈકાર્ડ મળ્યું હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો. LCBની ટીમે શંકાના આધારે તેની પૂછપરછ કરી. તપાસ દરમિયાન તે PSI હોવાનો કોઈ સત્તાવાર પુરાવો રજૂ કરી શક્યો નહીં. પોલીસે તેની પાસેથી અંદાજે ₹12,000ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. પોલીસ વર્દીનો દુરુપયોગ કરી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી:અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં 7થી 13 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. 7 જુલાઈ 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી ભારે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8થી 13 જુલાઈ સુધી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 7થી 11 જુલાઈ દરમિયાન હળવી મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે. 7થી 13 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અમરેલી ફ્લડ સેલે પણ જિલ્લાના તમામ નાગરિકોને તકેદારીના પગલાં લેવા અનુરોધ કર્યો છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી હાલ ધીમી ગતિએ ચાલી રહી છે. રાજ્ય સરકારે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે દિશાનિર્દેશો આપ્યા હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓને સૂચનાઓ આપી હતી. માર્ગ અને મકાન વિભાગે માત્ર પાંચ રસ્તાઓ પર મેટલ પેચવર્કની કામગીરી કરી છે. આ રસ્તાઓમાં નાના આંકડિયા-ચિત્તલ રોડ, સાવરકુંડલા-રંઘોળા રોડ, બાઢડા-થોરડી-રાજુલા રોડ, રાજુલા-ડુંગર રોડ અને ચાંચ-ખેરા પટવા રોડનો સમાવેશ થાય છે. વિભાગ દ્વારા વરસાદી માહોલ પૂર્ણ થયા બાદ ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે અને હિંડોરણાથી કાતર રોડ પર હજુ પણ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ રસ્તાઓ પર કોઈ મરામત કામગીરી શરૂ કરવામાં આવી નથી. વાહનચાલકોમાં તંત્રની ધીમી કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ મેટલ પેચવર્કની કામગીરી કરી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. મેયર મીરાબેન પટેલના હસ્તે પોર ગામના તળાવથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે ડ્રોન દ્વારા દુર્ગમ વિસ્તારોમાં સર્વે કરવામાં આવશે. મોટા તળાવો, બિલ્ડિંગોની છત, સુએજ કેનાલ અને ઓપન ડ્રેનેજ જેવા વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોની ઓળખ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી મળેલા ફોટોગ્રાફ્સને ગૂગલ મેપ પર લોકેટ કરવામાં આવશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમની પહોંચ શક્ય નથી, ત્યાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. એક ડિજિટલ પ્લેટફોર્મ પર મચ્છર ઉત્પત્તિ સ્થળોની વિગતવાર માહિતી, એરિયલ ફોટોગ્રાફ અને લેટિટ્યુડ-લોંગિટ્યુડ સાથે ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવશે. આ માહિતીના આધારે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને કામગીરી સોંપવામાં આવશે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2030 સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવાના વિઝનને અનુરૂપ છે. તે મેલેરિયા નાબૂદી મિશન 2030ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે અને ગાંધીનગરને મચ્છરજન્ય રોગોથી મુક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. આ દુર્ઘટના 6 જુલાઈ, 2025ના રોજ બની હતી. મૃતકોમાં જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા, તેમના પત્ની રખુબેન જેઠાભાઈ મકવાણા અને તેમનો પુત્ર પથુભાઇ જેઠાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ ત્રણેય વ્યક્તિઓ પરિવારના મુખ્ય જવાબદાર સભ્યો હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે આ પરિવાર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ પરિવારને તાત્કાલિક મદદની જરૂર છે. ધારાસભ્યએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે. જેથી આ પરિવાર આ કપરા સમયમાંથી બહાર આવી શકે.
દહેગામ નગરપાલિકાના પંમ્પીંગ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂગર્ભ ગટરની ફરિયાદ માટે આવેલા નાગરિકને કોન્ટ્રાક્ટ કર્મચારી દારૂના નશામાં મળ્યો હતો. કર્મચારી ખુરશી પર લથડિયા ખાતો હતો. તેને પોતાની સ્થિતિનું ભાન નહોતું. નાગરિકની ફરિયાદનો યોગ્ય જવાબ આપવાને બદલે માત્ર અસંબદ્ધ વાતો કરતો રહ્યો. નાગરિકે કર્મચારીની આ હરકતનો વીડિયો બનાવ્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકીએ જણાવ્યું કે પંમ્પીંગ સ્ટેશન પાલિકા હસ્તક છે. જોકે તેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. વીડિયોમાં દેખાતો કર્મચારી ખાનગી એજન્સીનો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને એજન્સીને તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે. જીઈબી વડ પાસે આવેલી આ ઓફિસમાં દહેગામના રહેવાસીઓ ભૂગર્ભ ગટરની ફરિયાદો માટે આવે છે. પાલિકાએ એજન્સીને કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
બાળ સંસદની ચૂંટણી:ડભોડા તાલુકા શાળામાં મોબાઈલ-EVMથી બાળ સંસદની ચૂંટણી, 195 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું
ગાંધીનગરના ડભોડા તાલુકા કુમાર શાળામાં બાળ સંસદ 2025-26ની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મહામંત્રી સહિતના પદો માટે દસ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. લોકસભા ચૂંટણીની જેમ જ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન માટે મોબાઈલ ઈવીએમ મશીનનો ઉપયોગ કરાયો હતો. ધોરણ 5થી 8ના 195 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન માટે આધારકાર્ડ ફરજિયાત હતું. શાળાના શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયાને વાસ્તવિક બનાવવા માટે વિશેષ આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓમાંથી જ ચૂંટણી અધિકારી, પોલીસ બંદોબસ્ત, આર્મી ફોર્સ, BLO અને પ્રિસાઈડિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયામાં મતદાર યાદી તૈયાર કરવી, ઉમેદવારી પત્રો ભરવા અને સ્વીકારવા, ચૂંટણી પ્રચાર કરવો જેવી તમામ પ્રક્રિયાઓનો સમાવેશ કરાયો હતો. મતદાન બાદ વિદ્યાર્થીઓની આંગળી પર કાળી શાહીનું ટપકું પણ કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં લોકશાહી પ્રક્રિયા પ્રત્યે સમજ કેળવવાનો હતો. શાળાના આચાર્ય સોનલ પ્રજાપતિ, શિક્ષિકા મિત્તલ પટેલ, અલકા સોરઠીયા અને મીના પટેલ સહિતના સ્ટાફે આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0ની સમીક્ષા બેઠક યોજાઈ. કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. સિંચાઈ (રાજ્ય) વિભાગે 518.68 લાખના ખર્ચે 242 કામો કર્યા છે. સિંચાઈ (પંચાયત) વિભાગે 856.42 લાખના ખર્ચે 432 કામો પૂર્ણ કર્યા છે. વન અને પર્યાવરણ વિભાગે 5.42 લાખના ખર્ચે 11 કામો કર્યા છે. ગ્રામ વિકાસ વિભાગે 157.90 લાખના ખર્ચે 63 કામો હાથ ધર્યા છે. વોટરશેડ યોજના હેઠળ 31 લાખના ખર્ચે 5 કામો કરવામાં આવ્યા છે. સમીક્ષા બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી.પાટીદાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સિંચાઈ, પંચાયત સિંચાઈ અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
રાજનીતિ અને બ્યૂરોક્રસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
વીજળીની સમસ્યા ગંભીર બની:પદાઅધિકારીઓ ખાલી વચનો આપે પરંતુ યોગ્ય નિરાકરણ લાવતા નથી
સોનગઢ તાલુકાના કાલઘર ગામમાં વીજળીની સમસ્યા ગંભીર બની છે. કાલઘર અને કાંટી ગામ એક જ ટ્રાન્સ્ફૉર્મર પર નિર્ભર છે,જે કાંટીમાં આવેલું છે. આથી ચોમાસામાં કાલઘરના રહીશોને રાત્રે વીજળીની સમસ્યા હલ કરવા નદી પાર કરી એક કિલોમીટર દૂર કાંટી જવું પડે છે,જે હાલની સ્થિતિમાં જોખમી ગણાય છે. સોનગઢ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કાલઘર માટે નવું ટ્રાન્સ્ફૉર્મર મૂકવાની માંગણી ફેબ્રુઆરી-2024માં થઈ હતી.જે તે વખતે ડિજીવીસીએલ એ સર્વે અને કાર્યવાહીનું વચન આપ્યું હતું.જોકે, તેમાં કોઈ પ્રગતિ ન થતાં ગત જૂન-2024માં જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં ફરી રજૂઆત થઈ હતી,પરંતુ હજી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી જૂન- 24ની રજૂઆતને જુલાઈ-24 માં તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. તે સમયે ડિજીવીસીએલએ જણાવ્યું કે,આ સંદર્ભે આરડીએસએસ યોજના હેઠળ 400 મીટરની ભારે અને 180 મીટરની હળવી લાઈન માટે મંજૂરી મળી ગઈ છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને આવતા સપ્ટેમ્બર-24 સુધી કામ પૂર્ણ થઈ જશે. જોકે,આ વાયદાને આઠ મહિના વીત્યા બાદ કંપની દ્વારા ગત મે-2025 માં ગ્રામજનોની માંગણી મુજબ ગામ ખાતે ટ્રાન્સ્ફૉર્મર ગોઠવી દેવામાં આવ્યું છે પરંતુ જુલાઈ-2025 સુધી આ ટ્રાન્સ્ફૉર્મરમાં વીજ જોડાણ આપવામાં આવ્યું નથી જેથી વીજ કંપનીએ કરેલાં વાયદાને દસ મહિનાથી વધુ સમય વીતવા છતાં સમસ્યા યથાવત જ છે. ગ્રામજનો આક્ષેપ કરે છે કે,જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં અધિકારીઓ ખાલી વચનો આપે છે,પરંતુ તેનું યોગ્ય નિરાકરણ થતું નથી. વીજ કંપનીની બેદરકારીના કારણે ગ્રામજનોમાં નિરાશા વધી છે અને એ સાથે ચોમાસામાં નિયમિત વીજળીના અભાવે લોકોની મુશ્કેલી પણ વધી છે. શું તાપી જિલ્લા કલેક્ટર આ મુદ્દે DGVCL પાસે જવાબ માંગશે ખરા ? આ પ્રશ્ન ગ્રામજનોનાં મનમાં ઘોળાય રહ્યો છે.
ઉકાઈ ડેમમાં નવા નીરની આવક:ઉકાઈની સપાટી અત્યાર સુધીમાં 7.41 ફૂટ વધી
તાપી નદી પરના ઉકાઈ ડેમમાં 19મી જૂનથી નવા પાણીની આવક શરૂ થઈ હતી.હમણાં સુધી ઉકાઈ ડેમમાં આ વરસાદી સીઝનમાં કુલ 854 MCM નવા પાણીની આવક થઈ છે,જ્યારે સપાટીમાં 7.41 ફૂટ નો વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમમાં આ વર્ષે 19મી જૂનના દિવસે પ્રથમ વખત 11,000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. તે વખતે ઉકાઈ ડેમની જળસપાટી 314.72 ફૂટ પર હતી, જ્યારે ડેમમાં 3110 MCM પાણીનો સંગ્રહ હતો.સિઝનના અઢાર દિવસ બાદ,7મી જુલાઈએ ડેમની જળ સપાટી 322.13 ફૂટ થતાં 7.41 ફૂટ નો વધારો નોંધાયો છે, જ્યારે ડેમમાં હાલ 3964 MCM પાણીનો સંગ્રહ થયો છે. આમ,આ સીઝનમાં કુલ 854 MCM નવું પાણી ઉમેરાયું છે. ઉપરવાસમાં નોંધાયેલા વરસાદના પગલે રવિવારે 60,000 ક્યુસેક પાણી ડેમમાં ઠલવાયા બાદ,સોમવારે સવારે ઇનફ્લો ઘટીને 24,540 ક્યુસેક થઈ ગયો હતો. સોમવારે દિવસ દરમિયાન સતત આશરે 12,000 ક્યુસેક પાણીની આવક નોંધાતાં ડેમની સપાટીમાં ધીમે-ધીમે વધારો નોંધાયો હતો. સોમવારે સાંજે છ વાગ્યે ઉકાઈ ડેમની જળસપાટી 322.13 ફૂટ ઉકાઇ ડેમ નોંધાઈ હતી,જ્યારે પાણીની આવક 24,540 ક્યુસેક રહી હતી. અત્રે નોંધનીય છે કે ઉકાઈ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 7414 MCM છે, તેના પ્રમાણે હાલ 3964 MCM પાણી ઉપલબ્ધ હોવાથી ડેમનો સંગ્રહ 53.47 % પર પહોંચ્યો છે.1લી ઓગસ્ટના રોજ રૂલ લેવલ પ્રમાણે ડેમમાં 333 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થઈ શકે છે,જ્યારે હાલની સપાટી 322.13 ફૂટ છે. ઉકાઈ ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે.
પાણી ભરાયા:પાનવાડી ગામની નંદનવન સોસાયટીમાં એક ફૂટ પાણી
વ્યારા તાલુકાના પાનવાડીમાં નંદનવન સોસા.માં ચોમાસાના પાણીના યોગ્ય નિકાલના અભાવે રસ્તા પર એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. સતત વરસાદના કારણે પાણી રસ્તા પર ઊભા રહી ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશોને રોજિંદા આવજાવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યારા થી કપરા જતા માર્ગ પર આવેલ નંદનવન સોસાયટી પાનવાડી ગામની હદમાં આવે છે. ચોમાસા દરમિયાન સોસાયટીના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સ્કૂટર, બાઈક અને સાઇકલ ચલાવનારા લોકો પર જોખમ સર્જાયું છે.
મહેનત પાણીમાં:તાપી જિલ્લામાં ખેતરોમાં પાણી ફરી વળતા પાક ડૂબ્યો
તાપી જિલ્લામાં સતત દસ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે વ્યારા પંથક સહિતના વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ વરસાદ બંધ થયો છે. પરંતુ ખેતરોમાંથી પાણી કાઢવાની મથામણ ખેડૂતોએ શરૂ કરી છે. ખાસ કરીને શેરડી, મકાઈ, કપાસ,તુવેર ડાંગર જેવા પાકો પાણીમાં ડૂબી ગયા છે. ખેડૂતો કહે છે કે, પાણી નિકાસની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી હજુ પણ ઊંડાણે ભરાયેલું છે. ખેતરોમાં પાણી ભરાતા ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવા મુશ્કેલ બની છે. તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, કુકરમુંડા, સોનગઢ, નિઝર ઉચ્છલ અને વાલોડ તાલુકાના અનેક ગામોમાં આ સ્થિતિ સર્જાઈ છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયું:પૂર્વ સૈનિકો અને પરિવારજનો માટે લીમખેડામાં કાર્યક્રમ
ગુજરાતના તમામ પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયું છે. આ માટે લીમખેડા તાલુકામાં વસતા પૂર્વ સૈનિકો તથા સ્વ. પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ માટે આઉટ રિચ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. કાર્યક્રમ તા. 11 જુલાઈ, 2025ના રોજ સવારે 11 વાગે લીમખેડાની પ્રાંત અધિકારીની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. કાર્યક્રમની અધ્યક્ષતા પ્રાંત અધિકારી યશ્વરાજ વાઘેલા કરશે. આ અંગે માહિતી મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, ગોધરા (પંચમહાલ) દ્વારા આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેમાં રતલામ મંડળના મુસાફરોને વધુ સગવડભરી અને આનંદદાયક મુસાફરીના ઉદ્દેશ સાથે સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોમાં વાણિજ્ય વિભાગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. જેના કારણે ટિકિટ ચેકિંગ ક્ષેત્રે મંડળે ઉલ્લેખનીય સિદ્ધિ મેળવી છે. વર્ષ 2025-26 દરમિયાન એપ્રિલથી જૂન વચ્ચે ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા 1.16 લાખ કેસોમાં કાર્યવાહી કરીને રૂ. 7.95 કરોડનું રાજસ્વ એકત્ર કરવામાં આવ્યું છે, જે મંડળના નિર્ધારિત લક્ષ્ય કરતાં 24.25 ટકાથી વધુ છે. માત્ર જૂન 2025ના મહિનામાં જ 35,803 કેસોમાં ટિકિટ ચેકિંગથી રૂ. 2.40 કરોડની આવક થઈ છે, જેના આધારે રતલામ મંડળે પશ્ચિમ રેલવેના 6 મંડળોમાં બીજું સ્થાન મેળવ્યું છે. આવક ઉપર નજર કરીએ તો, 2025ના એપ્રિલથી જૂન વચ્ચે મળેલી આવક અગાઉના વર્ષની સરખામણીએ 11% વધારે રહી છે. જ્યારે જૂન 2025ના મહિના માટે આવક જૂન 2024 કરતાં 24.5% વધારે નોંધાઈ છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ માત્ર આવક જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવે છે. ટ્રેન કે સ્ટેશન પર ગંદકી ફેલાવતા પ્રવાસીઓ વિરુદ્ધ ભારતીય રેલ્વે અધિનિયમ 1989ની કલમ 198 હેઠળ કાયમી કાર્યવાહી કરવામાં આવી છે. ફક્ત એપ્રિલથી જૂન 2025 દરમિયાન 762 કેસોમાં રૂ. 1.70 લાખનો દંડ વસૂલાયો છે, જે ગયા વર્ષની સરખામણીએ 65% વધુ છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા મુસાફરીના સમયે ચૂકાયેલા પર્સ, મોબાઈલ કે સામાન યથાવત પરત કરવો, ઘરથી ભાગેલા બાળકોને પરિવાર સાથે જોડવાનો પ્રયાસ અને ખોવાયેલા વડીલોને શોધી આપવામાં પણ વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. આમ, રતલામ મંડળનો વ્યાવસાયિક વિભાગ ટિકિટ ચેકિંગની નિયમિત પ્રક્રિયાને માત્ર નિયમના અમલ તરીકે નહીં પણ જવાબદારી અને સેવા ભાવના સાથે આગળ ધપાવી રહ્યો છે.
ખેડૂતોને ભારે હાલાકી:ગરબાડામાં સાંજ સુધી કતારમાં ઉભા રહ્યા બાદ ખાતર ન મળતા હોબાળો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની એપીએમસી ખાતે હાલમાં ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં વાવણીનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાથી ખાતરની અત્યંત આવશ્યકતા છે. પરંતુ પુરવઠાના અભાવે ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ઘણાને ખાતર વિના ખાલી હાથે પાછા ફરવું પડે છે. ખાતર મેળવવા માટે મહિલાઓ, પુરુષો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, જ્યારે ખાતરનો ટ્રક આવે છે, ત્યારે એપીએમસીના સત્તાધીશો દ્વારા તેમને ખાતર આપવામાં આવતું નથી. આના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સવારથી ભૂખ્યા-તરસ્યા ઊભા રહેલા ખેડૂતોને મોડી સાંજ સુધી ખાતર ન મળતાં નિરાશ થઈને પાછા ફરવું પડે છે. ખેડૂતોની આ સમસ્યા અને આક્રોશને ધ્યાનમાં રાખીને, પ્રાંત અધિકારી મિલન દવે, ગરબાડા મામલતદાર સી.વી. ચૌધરી, અને કૃષિ અધિકારી સહિતની ટીમે ગરબાડા એપીએમસીની મુલાકાત લીધી હતી. આ ટીમે ખેડૂતો અને ખાતર વિક્રેતાઓ સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી. સમસ્યાના નિવારણ માટે, અધિકારીઓએ ખાતર વિક્રેતાઓને ટોકન સુવિધા શરૂ કરવા માટે જરૂરી સલાહ-સૂચનો કર્યા હતા. તંત્ર દ્વારા ખેડૂતોને ખાતરની સમસ્યાના નિવારણ માટે બાંહેધરી આપવામાં આવી છે.
સંજેલી તાલુકાના માંડલી પ્રાથમિક શાળામાં સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ પરંતુ તેમાં ચાર સરપંચો ગેરહાજર જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સંજેલી તાલુકાના માંડલી પ્રાથમિક શાળા ખાતેથી તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોરની અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની ધરતી આબા કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તારીખ 7,8,9,10,અને 14,એમ પાંચ તબક્કામાં તાલુકાના 56 ગામોનો સમાવેશ કરી પાંચ ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમનું રૂપરેખા તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 13 જેટલી વિવિધ વિભાગોની સેવાઓ લાભાર્થીઓ સુધી પહોંચી તે માટે કાર્યક્રમ સાતમીને સોમવારના રોજ માંડલી ખાતેથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માંડલી, જુસ્સા, પીછોડા, ઢેડીયા, ચમારીયા ગ્રામ પંચાયતોના 15 ગામોનો સમાવેશ કરી આ કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. જેમાં માંડલી સરપંચ સિવાય ચાર ગ્રામ પંચાયતોના સરપંચો ગેરહાજર જોવા મળ્યા હતા. સરકાર દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરી અને ગ્રામ્ય વિસ્તારના આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં યોજનાઓની માહિતી અને યોજનાઓનો લાભ ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે તાલુકાના અધિકારીઓને ગામડે ગામડે આવી કાર્યક્રમો યોજી લાભ આપવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના આવા સરપંચો જ જો ગેરહાજર રહેતા હોય તો લાભાર્થીઓ સુધી લાભ કઈ રીતે પહોંચે તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાર્યક્રમમાં 3989 જેટલા લાભાર્થી ઓએ વિવિધ માહિતીનો લાભ મેળવ્યો હતો. જેમાંથી 3612 તો પશુ રસીકરણના જ લાભાર્થીઓ લાભ લીધો હતો.
રાજકોટ શહેરમાં જો તમે સ્પીડમાં વાહન હંકારી રહ્યા છો તો સાવધાન થઈ જજો કારણ કે, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હવે હાઈવે બાદ શહેરી વિસ્તારમાં પણ ઓવર સ્પીડિંગ વાહન ચલાવતા ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસને કુલ 20 સ્પીડ ગન ફાળવવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ સ્પીડ ગનની મદદથી શહેરભરમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવતા ચાલકો સામે ઓવર સ્પીડિંગના કેસ કરી રહી છે. જેમાં પ્રથમ વખત રૂ. 2000 અને ત્યાર બાદ રૂ. 3000નો ઈ-મેમો મોકલી આપવામાં આવે છે. જે 90 દિવસમાં ભરવાનો રહે છે અને જો ચાલક ભરપાઈ ન કરે તો કોર્ટ દ્વારા વસૂલાત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં માત્ર રાજકોટ શહેરમાં જ લિમિટ કરતા વધુ સ્પીડથી વાહન ચલાવતા હોય તેવા 4,125 ચાલકો સામે સ્પીડગન મારફતે મેમો તૈયાર કરી કુલ 95.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યા છો. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો સામે ઓવર સ્પીડિંગ કેસરાજ્યમાં દિન પ્રતિ દિન ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેનો હલ કરવા રાજ્ય સરકાર આધુનિક ઉપકરણોની મદદ લઈ રહી છે. ગુજરાત પોલીસ દ્વારા ખાસ સ્પીડ ગન મારફતે ઓવર સ્પીડની વાહન ચલાવતા ચાલકોનો ફોટો કેપ્ચર કરી ઇ-મેમો જનરેટ કરી તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર ઇન્ટરસેપટર વાહનમાં હાઈવે ઉપર પુરપાટ ઝડપે જતા વાહનચાલકો સામે ઓપર સ્પીડિંગ કેસ કરવામાં આવતા હતા, પરંતુ હવે ગુજરાત પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસને વધુ 20 સ્પીડ ગન ફાળવવામાં આવતા હવે શહેરમાં પાણ સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપે કોઈ વહાન ચલાવવામાં આવે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી છે. શું છે સ્પીડ ગન અને કેવી રીતે કામ કરે છે?રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. જે સ્પીડ લિમિટ નક્કી કર્યા કરતા વધુ સ્પીડથી કોઈ વાહન ત્યાંથી પસાર થાય તો ઓટોમેટિક તેની સ્પીડ સ્પીડ ગનમાં કેપ્ચર થઈ જાય છે. ઉ.દા તરીકે જોઇએ તો રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ડબલ ડેકર બ્રિજની સ્પીડ લિમિટ 30 નક્કી કરવામાં આવી છે, માટે ત્યાં આગળ પોલીસ દ્વારા 35ની સ્પીડ લિમિટ સ્પીડ ગનમાં સેટ કરી દેવામાં આવી છે, જોકે, હવે કોઈ વાહન 35 કરતા વધુ સ્પીડથી પસાર થાય તો તેની સ્પીડ ઓટોમેટિક સ્પીડ ગનમાં કેપ્ચર થઈ જાય છે. આ કેપ્ચર થયેલી સ્પીડ કેટલી છે તે પણ દર્શાવવામાં આવે છે અને તેની તસવીર પણ કેપ્ચર થઈ જતી હોય છે જેના મારફતે ઇ-મેમો મોકલવામાં આવતો હોય છે. ઓપર સ્પીડ વાહનની તસવીર ગન મશીન કેપ્ચર કરે છેકોઇપણ વાહન સામાન્ય કરતા વધુ ઝડપથી નીકળે તો તે વાહન પર સ્પીડ ગન પોઇન્ટ કરે છે. જેની ત્રણથી ચાર સેકન્ડમાં વાહનની સ્પીડ છે તે માપી શકાય છે અને તે સ્પીડ સાથેની વાહનની તસવીર ગન મશીનમાં કેપ્ચર થઈ જાય છે. આ સ્પીડ ગન ઇન્ટરનેટ, મોબાઈલ ફોન અને ટુ કેમ સોફ્ટવેર સાથે કનેક્ટ હોય છે. જે 200થી 300 મીટર દૂરથી વાહનની સ્પીડ માપી શકે છે. રાજકોટ શહેર પોલીસને કુલ 20 સ્પીડ ગન ફાળવવામાં આવી છે. જે ચારેય સેક્ટરમાં ચાર-ચાર અને ચાર પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવી છે. રાજકોટ ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓને આ માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. એક મહિનામાં ઓવર સ્પીડિંગ કેસમાં 95 લાખનો દંડ ફટકારાયોરાજકોટ પોલીસ દ્વારા અત્યાર સુધી માત્ર હાઈવે ઉપર આ કાર્યવાહી કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી એટલે કે, જૂન 2025થી આ કાર્યવાહી હવે શહેરી વિસ્તારમાં પણ શરૂ કરી છે. 1 જૂન 2025થી 30 જૂન 2025 સુધીમાં શહેરની અંદર 4,125 વાહનચાલકોને સ્પીડ ગન મારફતે કુલ રૂપિયા 95,45,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વખત ઓવર સ્પીડ કેસમાં રૂપિયા 2,000 અને ત્યારબાદ ફરી કોઈ વાહનચાલક ઓવર સ્પીડમાં વાહન ચલાવતો ઝડપાય તો ઓટોમેટિક સિસ્ટમ દ્વારા તેને રૂપિયા 3,000 નો દંડ ફટકારવામાં આવે છે. આ સાથે હાઈવે પર પણ ઓવર સ્પીડિંગ વાહનચાલકો સામે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં છેલ્લા 6 મહિનામાં કુલ 12,650 કેસ કરી રૂપિયા 2.53 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યુંઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા શહેરના કાલાવડ રોડ પર બનાવવામાં આવેલા ડબલ ડેકર બ્રિજ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સ્પીડ લિમિટ અંગે તપાસ કરતા બંને તરફ બ્રિજ શરૂ થતા સાથે જ ત્યાર બાદ મધ્ય અને બ્રિજ પૂર્ણ થાય તે પહેલાં ત્યાં સ્પીડ લિમિટ 30 દર્શાવતું સાઈન બોર્ડ જોવા મળ્યું હતું. જોકે, આ સાઈન બોર્ડ આધારે વાહનચાલકો વાહન હંકારતા નજરે પડ્યા ન હતા. 10 માંથી 7 વાહનો લગભગ 30 કરતા વધુ સ્પીડથી જ પસાર થતા નજરે પડ્યા હતા. એટલે કે, આ જગ્યાએ કોઈપણ વાહનચાલકો સ્પીડ લિમિટનું પાલન કરતા નથી તે પણ એક નરવી વાસ્તવિકતા હોવાનું સામે આવ્યું છે. ઈ-ચલણની ચૂકવણી કેવી રીતે કરવી?ઈ-ચલણની ચૂકવણી ઓનલાઇન તથા ઓફલાઈન કેસ પેમેન્ટના માધ્યમથી કરી શકાય છે. અને જો ઈ-ચલણ પેમેન્ટ ઓનલાઈન કરવું હોય તો વાહનચાલકને મળેલા ઈ-ચલણ તા. 15 જાન્યુઆરી 2023 કે તે પહેલાંની તારીખનો હોય તો તેવા ઈ-ચલણની ઓનલાઈન ચૂકવણી rajkotcitypolice.co.in પર કરવાની રહેશે. ઈ-ચલણ 90 દિવસની અંદર ભરવાનું રહેશેજો 16 જાન્યુઆરી 2023 કે તે પછીની તારીખનું ઈ-ચલણ હોય તો તેવા (NIC/ PARIVAHAN) ઈ-ચલણની ઓનલાઈન ચૂકવણી echallan.parivahan.gov.in પર કરવાની રહશે. જેમાં ઈ-ચલણ ઇશ્યૂ થયાના 90 દિવસની અંદર ભરી શકાશે ત્યાર બાદ ઈ-ચલણ જાતે જ VCourtમાં જતુ રહેશે. જાન્યુઆરીથી જૂન 2025 સુધીમાં 5.91 કરોડનો દંડ ફટકાર્યોરાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાન્યુઆરી 2025થી જૂન 2025 સુધીમાં ટ્રાફિક નિયમન ઉલ્લંઘન બદલ કુલ 5.91 કરોડનો દંડ રાજકોટ વાસીઓને ફટકારવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ કેસ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા 20,170 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 1,00,85,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેન્સી નંબર પ્લેટ રાખવા બદલ 18,904 વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ 56,75,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 14,930 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી કુલ 3 કરોડથી વધુ કિંમતનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વર્ચ્યુઅલ અધ્ય્ક્ષ સ્થાને તેમજ કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની ઉપસ્થિતિ હેઠળ પશુ સંવર્ધન માટે વિડીઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ખેતી અને પશુપાલનનો વ્યવસાય એ એક સિક્કાની બે બાજુઓ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, વર્ષોથી આપણો દેશ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. આપણા દેશની ધરતી પશુપાલન પર આધારિત છે. પશુઓ થકી પ્રાકૃતિક ખેતી કરતા હતા. એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલન અને ખેતી એકબીજાના પુરક છે. પ્રાકૃતિક ખેતીનો પણ સારો એવો વ્યાપ વધી રહ્યો છે તેમ છતાં આપણે હજી ઘણું આગળ વધવાનું છે. આ વિડીઓ કોન્ફરન્સ દરમ્યાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ દ્વારા પશુ સંવર્ધન માટે કરવામાં આવેલ કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. પશુઓની જાળવણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી પશુપાલકો રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લે તે માટે તમામ જિલ્લાઓ આયોજન બદ્ધ રીતે કામગીરી કરે એમ જણાવ્યું હતું. આ દરમ્યાન દાહોદ જિલ્લાના નાયબ પશુપાલન અધિકારી ગોસાઈ સહિત પશુ ચિકિત્સકો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેવશયની એકાદશી:તીર્થધામ વડતાલમાં દેવશયની એકાદશીએ અખંડ ધૂન યોજાઇ
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે રવિવારે દેવશયની એકાદશીના શુભ દિને મંદિરના ઐતિહાસિક સભામંડપમાં 12 કલાકની અખંડ ધૂન રાખવામાં આવી હતી. વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં દેવશયની (દેવપોઢી) એકાદશીનું અનેરૂ મહાત્મય છે.સાથે સાથે આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને ચાતુર્માસ માં વિશેષ નિયમ ધારવાની આજ્ઞા કરી છે.
કલેક્ટરને આવેદન:પાંડવા પંચાયતની ચૂંટણી વ્યવસ્થાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન
બાલાસિનોરનાં પાંડવા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં શંકાશીલ ચૂંટણી વ્યવસ્થા બાબતે નિષ્પક્ષ તપાસ કરી અઘટિત ઘટનાના આક્ષેપ સાથે ચુંટણી રદ કરવાની માંગ સાથે જિલ્લા ભાજપ અગ્રણી જેઠાભાઇ વણકરના પુત્રવધુ પરાજિત ઉમેદવાર નિમીષાબેન અમીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમા જણાવ્યુ હતું કે ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણી 22 જૂનના રોજ યોજાઇ હતી અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવાર અમીન નિમીષાબેન રાકેશકુમારની સામે ભારતીબેન દિનેશભાઈ માયાવંશી વિજેતા જાહેર થયા હતા. કુલ મતદારો 1381 હતા. 1077 નું મતદાન થયેલ હતું જેમાં વિજેતા ઉમેદવારને 547 મત મળ્યા અને પરાજિત ઉમેદવારને 458 મત મળ્યા હતા. આ મતગણતરીમાં 50-50 ના બંડલને ખોલીને બતાવવાની ઉમેદવારની માંગણી સ્વીકારાઇ ન હતી. ઉપરાંત તેમાંથી 46 મત જે કોરા નીકળ્યા છે. વધુમાં કોરા અને ગડી વાળ્યા વગરના મત હોવાનું પાંડવા ગ્રામ પંચાયતના ચુંટણી અધિકારી પણ સ્વીકારતા હોય તેવું મતગણતરી અધિકારીનું વિડીઓ રેકોર્ડીંગ પણ આવેદનપત્ર સાથે આપવામાં આવ્યું હતુ.
દારૂ ઝડપાયો:ખરોદામાં દારૂ સાથે બાઇક ચાલક ઝડપાયો
દાહોદ તાલુકા પોલીસ મથકના સ્ટાફના માણસો ગતરોજ પટ્રોલીંગમાં બાતમીથી ખરોદા ગામ પાસે બાઇક ઉપર એક વ્યક્તિ ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇ ખરોદા આલની તળાઇ તરફ જંગલના રસ્તે આવનાર હોવાની બાતમીથી વોચ તપાસમાં ગોઠવી બાઇક લઇને આવતાં યુવકને ઝડપી બન્ને પાચુ કોથળામાં તપાસ કરતાં 48528 રૂપિયાની ઇંગ્લિશ દારૂની અલગ અલગ માર્કાની 384 બોટલ તથા મોટર સાયકલ મળી 1,08,528 રૂપિયાના મુદ્દામાલ સાથે ખરોદાના સુરેશ ફુલસીંગ નીનામાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ નગરપાલિકામાં સમિતિના ચેરમેનોની વરણી માટેની તૈયારીઓ થઇ ચૂકી હતી. ત્યાં જ પૂર્વ પાલિકા પ્રમુખે કાઉન્સિલર પદેથી રાજીનામું આપીને ખળભળાટ મચ્યો છે. ચેરમેનોના નામની જાહેરાતના માત્ર 72 કલાક પહેલાંના પગલાથી ચર્ચાતો પ્રશ્ન બન્યો છે. દાહોદ નગરપાલિકામાં આંતરિક વિખવાદ અને જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનોની નિમણૂકની 10મી જૂલાઇના રોજ પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા જ સોમવારે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર અને પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ સહેતાઇએ તેમના પદ પરથી અચાનક રાજીનામું ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. 1600 દિવસ સુધી પાલિકાની શાસનધુરા સંભાળ્યા બાદ અને વર્તમાન બોર્ડનો કાર્યકાળ પૂરો થવામાં માત્ર 225 દિવસ બાકી છે. ત્યારે લેવાયેલા આ નિર્ણયે અનેક સવાલો ઉભા કર્યા છે. તેમના રાજીનામા પત્રની ભાષા પણ અત્યંત નાટકીય અને ભાવનાત્મક છે. જે પાલિકાના સુધરાઇ સભ્યો વચ્ચે હજી ચાલી રહેલા મતભેદ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. રાજેશ સહેતાઈએ પોતાના રાજીનામા પત્રની શરૂઆત રામ રામ, માં ભારતીને નમન વંદન જેવા શબ્દોથી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી અમારી નગર પાલિકાના વહીવટ તેમજ નગરપાલિકાની જવાબદારીઓ પ્રત્યે અમારી શક્તિ અને ભક્તિમાં ખૂબ જ અભાવ રહેલો હોય એવા પ્રકારની લાગણી મનમાં સતત મુંઝવણ ઉભી કરતી હોવાનો આભાસ લાગી રહ્યો છે. ત્યારે બાકીના 225 દિવસ જેટલા દિવસની નગર પાલિકાની જવાબદારી નિભાવવા હું પોતે અસક્ષમ હોઇ હું રાજેશ આસનદાસ સહેતાઇ વોર્ડ નંબર 2 દાહોદ નગર પાલિકાના સુધરાઇ સદસ્ય પદ પરથી રાજીનામું આપું છું. નવો નિયમ આવતાં પ્રમુખ બનતા રહી ગયાનગર પાલિકાની પ્રથમ ટર્મમાં રાજેશભાઇ પક્ષના નેતા હતાં અને રીનાબેન પંચાલ પ્રમુખ હતાં. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મુખ્ય 5 હોદ્દા ભોગવનારને પ્રમુખ નહીં બનાવવાનો નિયમ લાવતા રાજેશભાઇ ભૂતકાળમાં પ્રમુખ પદુ પણ ભોગવી ચૂક્યા હોવાથી તેમનું નામ કપાતા નીરજ દેસાઇને પ્રમુખ બનાવાયા હતાં. 12 સપ્ટેમ્બર 2023ના રોજથી સત્તા-સંઘર્ષઅને આંતરિક જૂથવાદનો વિવાદ શરૂ થયોદાહોદ પાલિકામાં પૂર્વ પ્રમુખનું રાજીનામું કોઈ એકદિવસની ઘટના નથી. પરંતુ છેલ્લા 12 સપ્ટેમ્બર2023ના રોજ બીજી ટર્મના પ્રમુખની જાહેરાતબાદથી જ ચાલી રહેલા સત્તા-સંઘર્ષ અને આંતરિકજૂથવાદના વિસ્ફોટનું પરિણામ છે. પાલિકામાં બીજીટર્મના પ્રમુખની જાહેરાત થતાની સાથે જ સભ્યોમાંઅસંતોષનો લાવા ધકધકવા લાગ્યો હતો. જેણેજૂથવાદનાં બીજ રોપ્યાં હતાં. 24 સભ્યો એકસાથેકુંભલગઢના પ્રવાસે ગયા હતા. તે સમયે પાલિકામાંઅવિશ્વાસની દરખાસ્ત લાવવાની અટકળોએ પણજોર પકડ્યું હતું.આંતરિક બળવાને શાંત કરવા અનેપક્ષની આબરૂ બચાવવા માટે ભાજપના વરિષ્ઠનેતાઓને મેદાને ઉતરવાની ફરજ પડી હતી. 14એપ્રિલ 2024ના રોજ ચેરમેનોની મુદ્દત પૂરી થઈ ગઈહોવા છતાં સભ્યો વચ્ચેની જૂથબંધી અને ખેંચતાણનેકારણે છેલ્લા 14 મહિનાથી નવી નિયુક્તિઓ માટેકોઈ સર્વસંમતિ સધાઈ ન હતી. હવે જ્યારેપાલિકાની ટર્મ પૂરી થવામાં માત્ર છ મહિના બાકી છેઅને માંડ-માંડ ચેરમેનોની નિમણૂકનું મુહૂર્ત નીકળ્યુંત્યારે જ પૂર્વ પ્રમુખના રાજીનામાએ ફરી એકવારપાલિકાનો સમગ્ર રાજકીય ખેલ બગાડી નાખ્યો છેઅને અનેક નવી અટકળોને જન્મ આપ્યો છે.
શ્વાનોનો આતંક:રેલવે સ્ટેશન માર્ગના ભરચક વિસ્તારમાં શ્વાનોથી લોકો ભયભીત
ગોધરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજ સવાર થી રખડતા 4 શ્વાનો ના ટોળા એ લોકો પર હુમલા કરવાના પ્રયાસ કરતા અવરજવર કરતા લોકો ઘણા ભયભીત થઈ જવા પામેલ હતા જયારે કેટલાક લોકો ને રસ્તો બદલવાની ફરજ પડેલ હતી.એક સાથે શ્વાનો લોકો પાછળ દોડતા હતા. જે તે સમયે બુમાબુમ થવા પામેલ હતી. ગોધરા શહેરના ભરચક વિસ્તાર રેલવે સ્ટેશન માર્ગ પર દિનપ્રતિન રખડતા શ્વાનો ની સંખ્યા વધતી જાય છે રાત્રી દરમ્યાન રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રીએ આવતા મુસાફરોને પણ રખડતા શ્વાનો ને લઈ ને ઘણું જોખમ રહેતું હોયછે. આ વિસ્તારમાં અનેકવાર રખડતા શ્વાનો દ્વારા લોકો ને કરડવાના બનવો બન્યા છે ત્યારે આજરોજ ફરી સવાર થી 4 શ્વાનો ના ટોળા થી લોકો ભયભીત થઈ જવા પામેલ હતા.અવરજવર કરતા રાહદારીઓ વાહનચાલકો પર હુમલા કરવાના પ્રયાસ કરતા હતા તે સમયે બુમાબુમ થવા પામેલ હતી. આ શ્વાનો ચોવીસ કલાક મુખ્ય માર્ગ પર રખડતા હોવાથી અને પાછળ દોડતા હોવાથી સ્થાનિકો દ્વારા રખડતા શ્વાનને ઝડપી લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
ધોધમાર વરસાદ વરસ્યો:ગોધરામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદમાં શહેર આખું પાણીમાં
પંચમહાલ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ગોધરામાં સોમવારે બપોરે ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થઇ ગયું હતું. બપોરના 3 વાગ્યા પછી શહેરમાં વરસાદનુ જોરદાર આગમન થતા સાંજના 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોધાયો હતો. સાથે જિલ્લાના મોરવા(હ) અને શહેરમાં વરસાદ નોધાયો હતો. ત્યારે ગોધરામાં એક ધારા વરસાદથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં દર વર્ષની જેમ પાણી ભરાયા હતા. શહેરમાં પાલીકા દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય કાર્યવાહી ન કરતા શહેરના માર્ગો પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનો ચાલકો સહિત લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.શહેરના ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓ, અંકલેશ્વર મહાદેવ રોડ, બામરોલી રોડ, લાલબાગ બસ સ્ટેન્ડ, સાંપા રોડ, લુણાવાડા રોડ સહિત વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ ન થતાં પાણી ભરાઇ જતા સ્થાનિકો પરેશાન થયા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા કોર્ટ સંકુલ, કલેકટર કચેરી સંકુલ સહિતના મુખ્ય માર્ગ અને સંકુલમાં વરસાદી પાણી ભરાતા અરજદારો અને કર્મચારીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયૂ:ગોધરાની યોગેશ્વર સો.માં ફસાયેલા લોકોનું રેસ્કયૂ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં યોગેશ્વર સોસાયટીથી અંકુર સ્કૂલ સુધીના માર્ગ પર વાહન ચાલકો અને શાળાના બાળકો ફસાયા.કેડ સમા પાણીમાં ફસાયેલા સિનિયર સિટીઝન, શાળાના વિધાર્થીઓ અને અન્ય વાહન ચાલકોની વ્હારે ગોધરા ફાયર બ્રિગેડ આવ્યું. માર્ગ ઉપર ભારે પાણીને લઈને ફસાયેલા લોકો નો કોલ મળતા ગોધરા ફાયર વિભાગના જવાનોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી ફાયર ઇમર્જન્સી ગાડીમાં બેસાડી તેમના ઘરે પહોંચાડ્યા હતા.
રોગચાળો ફેલાવાની ભીતિ:રાજપીપળા રોહિતવાસ પાસે મૃત પશુનંખાતાં લોકો રૂમાલ બાંધવા મજબૂર
રાજપીપળામાં ખુદ વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાટ સર્જાયો છે. રોહિતવાસ નજીક આવેલી પાલિકાની ડમ્પિંગ સાઇટના બદલે પાલિકાના વાહનો જ રોડની સાઇડ પર કચરો નાખી જતાં હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. રાજપીપળાના રોહિતવાસ વિસ્તારમાં કચરાની સેમ્પિંગ સાઇટની સમસ્યા ગંભીર બની છે. નગરપાલિકાની કચરા ગાડીઓ રોડ પર જ કચરો ઠાલવે છે જેથી આસપાસના રહીશો દુર્ગંધથી ત્રસ્ત છે. રહીશો ખેડૂતો અને અવર જવર કરનારા ગામડાના લોકો આ જગ્યા ને સ્વચ્છ બનાવવા માંગ કરી રહ્યા છે. આ જે ડમ્પીંગ સાઇડ છે ત્યાં રોહિતવાસ માં લોકો રહે છે. નજીક સોસાયટી છે સાથે લાછરસ તરફના માર્ગ પર ખેતરો અને ધાર્મિક સ્થાનકો આવેલા છે. આ રસ્તો લાછરસ, માંગરોળ, ટંકારી અને અણીજરા જેવા ગામોને જોડે છે. અહીંથી અવરજવર કરતા લોકોને મોઢે રૂમાલ બાંધીને પસાર થવું પડે છે.ડમ્પિંગ સાઇટ પર કચરા સાથે મૃત પશુઓને પણ ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે. આ મૃત પશુઓના અવશેષોને કૂતરાઓ રસ્તા પર ખેંચી આવે છે. જેનાથી આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. આંદોલન કરવામાં આવશેનગરપાલિકાના વાહનો જ રોડની સાઇડમાં કચરો નાખીને જતો રહે છે. કચરાના કારણે ગાયોનો જમાવડો રહેતો હોય છે અને ગાયો પ્લાસ્ટિક આરોગી રહી છે. મૃત પશુઓ પણ અહીં નાખી દેવામાં આવતાં હોવાથી દુર્ગંધ ફેલાઇ છે. પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. > કંચનભાઇ, સ્થાનિક રહેવાસી,
હત્યાનો મામલો:મોટા સુકાઆંબા ગામે પિતરાઇ બહેનને ત્રાસ આપતા બનેવીની સાળાએ ઘાતકી હત્યા કરી
દેડિયાપાડાના મોટા સુકાંઆંબા ગામે પતિ અને પત્ની વચ્ચેના ઝગડામાં પત્નીના ફોઈના દીકરા વચ્ચે પડતા ઝગડો એટલો ઉગ્ર બન્યો કે સાળાએ બનેવીનું કુહાડીના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું. મોટા સુકા આંબગામના નિશાળ ફળિયામાં રહેતા શૈલેષ વસાવાએ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કે તેનો 30 વર્ષીય ભાઈ ચંદ્રસિંહ વસાવા તેની પત્ની હેમાંગીની સાથે મોટા સુકાઆંબા ગામે નિશાળ ફળિયામાં રહેતો હતો બંને વચ્ચે અવાર નવાર ઝગડો થયા કરતો હતો. એટલે તેના ભાભી હેમાંગીની તેની ફોઇ ન ઘરે થના ફળીયામાં જતી રહેતી હતી.એટલે ફોઇ ના દીકરો હાર્દિક પણ આ ઝગડામાં પડતો હતો.5 જુલાઈ ના રોજ રાત્રીના 10 વાગ્યાના સુમારે તેનો ભાઈ ઘરે હતો ત્યારે હાર્દિક ઉર્ફે બંટી વસાવાએ તેના મિત્ર આશીષ દેશમુખ સાથે આવી ચંદ્રસિંહ સાથે ઝગડો કર્યો. ચંદ્રસિંહ ઉર્ફે લાલો હાર્દિકને કહેતો કે તું મારી પત્ની ને ખોટા ધંધા કરાવે છે. તેમ કહેતા હાર્દિક વસાવાએ તેની પાસે રહેલી કુહાડીના ઘા ચંદ્રસિંહના માથામાં મારી દીધાં હતાં. ગંભીર ઇજાના પગલે તેનું મોત થયું હતું. બનાવ સંદર્ભમાં પોલીસે હાર્દિક અને આશિષ સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સામાન્ય બાબતે મારામારીના બનાવો બનતા હોય છે.મોટા સૂકાઆંબા ગામે પતિ અને પત્ની વચ્ચે થતા ઝઘડામાં પત્નીનો પિતરાઈ ભાઈ વચ્ચે પડ્યો હતો.અને તેને તેના મિત્ર સાથે મળીને બનેવીની કરપીણ હત્યા કરી નાખી છે. બનેવીનીહત્યા કેમ કરવામાં આવી તે આરોપીનું સાચું કારણ ઝડપાયા બાદ જ બહાર આવશે.
હેરાન ગતિ:એક ખાડાથી બચવા જતા બીજામાંં વાહન પટકાયાં
અંકલેશ્વરમાં તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉમા ભવન ફાટક રોડ તેમજ મહાવીર ટર્નીંગ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેને લઇ વાહન ચાલકોને રાહત અનુભવી હતી જો કે આ રાહતને વરસાદે પાણી ફેરવી દેતા અંકલેશ્વરમાં પડેલા અનરાધાર વરસાદ રોડનો દાટ વાળી દીધો છે. અને રોડ પર મસમોટા ખાડાઓ પાડી દીધા છે. જે એક બીજા સાથે અડીને પડેલા હોવાથી અહીંથી વાહન ચાલકોને પસાર થવું એટલે જીવનું જોખમ પર ગાડી પર કંટ્રોલ કરી એકદમ ધીમી ગતિએ ગાડી પસાર કરાવી પડી રહી છે એક ખાડા માંથી બચી બીજા ખાડામાંથી બચવાના દબાણ વચ્ચે વાહન પસાર કરવા પડી રહ્યા છે. જેને લઇ વાહનોની કતાર લાગી રહી છે. એટલું જ નહિ ગાડી ખાડા માં થી કાઢતી વેળા અન્ય ગાડી ને અડી જાય તો અકસ્માતનું જોખમ ઉભું થઇ રહ્યું છે. તો કેટલા કિસ્સામાં તો ગાડી અડી જતા ઝગડા પણ થઇ રહ્યા છે. વાહનોના નુકસાન સાથે શારીરિક માનસિક આપદા પડી રહી છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો. જે સોમવારે બપોર બંધ થયો છે. ત્યારે વરસાદના વિરામ વચ્ચે તંત્ર દ્વારા આ ખાડા ત્વરિત અસરથી વાહનો થંભાવી કરવામાં આવે એ જરૂરી છે.
ઘરફોડ ચોરીનો બનાવ:બહેન પિયરમાં આવી અને બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું
અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે મદની નગર કહતે રહેતા સબાનાબાનુ સાજીદ મલેક ગત રોજ પોતાનું ઘર બંધ કરી સોસાયટી માં જ રહેતા પોતાના ભાઈ સિરાજુદ્દીન ના ઘરે મોહરમ પર્વને લઇ રાત્રી રોકાણ કરવા ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, અને ઘર માં રહેલા કબાટ તેમજ તિજોરી માં ખાંખાખોળા કરી અંદર રહેલી 30 હજાર રોકડ તેમજ ચાંદી ના અંદાજે 500 ગ્રામ વજન ના દાગીના અને સોના ના 8 થી 10 તોલા ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે સબાનાબાનુ સાજીદ મલેક ઘરે આવતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા આ અંગે તેમના ભાઈ સિરાજુદ્દીન જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
મહિલાઓ સંભાળશે સત્તાનું સુકાન:ભરૂચના જૂના તવરા ગામમાં સરપંચ અને ડેપ્યૂટી સરપંચ પદ પર મહિલાઓનો વિજય
ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવું શહેર વિકસી રહયું છે ત્યારે આ વિસ્તારમાં સમાવિષ્ટ જૂના તવરા ગ્રામ પંચાયતમાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તરીકે મહિલાઓ વિજયી બની છે. અઢી વર્ષ સુધી વહીવટદારનું શાસન રહયાં બાદ ગામમાં ફરી ચૂંટાયેલી બોડી સત્તાનું સુકાન સંભાળશે. છેલ્લા અઢી વર્ષથી જુના તવરા ગામનો વહીવટ વહીવટદાર કરી રહ્યા હતાં . ગ્રામ પંચાયતની હદમાં નવું શહેર વિકસી રહયું છે ત્યારે સત્તાધીશોની જવાબદારી વધી છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે જાગૃતિબેન પરમાર વિજેતા બન્યાં હતાં. આ ઉપરાંત તેમના વોર્ડના તમામ સભ્યોનો પણ વિજય થયો હતો. સોમવારના રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી સરપંચ નકકી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ સભ્યોની સહમતીથી ડેપ્યુટી સરપંચ તરીકે મીનાબેન વસાવાની વરણી કરવામાં આવી છે. આમ ગ્રામ પંચાયતમાં હવે મહિલાઓ સત્તાનું સુકાન સંભાળશે. તેમણે જણાવ્યું હતું કે, ગામના બાકી રહેલા અધૂરા કામો અને ગામને એક વિકસિત ગામ તરીકે ઓળખ આપશે તથા તમામ સમસ્યાઓ નું નિરાકરણ લાવવામાં આવશે.
નિમણૂંક પત્રો એનાયત કરાયા:શિક્ષક પદ નથી, સમાજના વિકાસનું દિશા દર્શક છે: જિલ્લા શિક્ષણાધિકારી
નર્મદા જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “શિક્ષણ સહાયક ભરતી-2024” અંતર્ગત ફાળવાયેલા 40 પદો પૈકી 37 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. આ તબક્કે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલના હસ્તે રાજપીપલાની સરકારી હાઈસ્કૂલ ખાતે નિમણૂંક પત્રો એનાયત કરી નવા શિક્ષકોને નર્મદા જિલ્લાની શિક્ષણયાત્રામાં જોડાવા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડૉ. કિરણબેન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પદ નથી, પરંતુ સમાજના વિકાસમાં સાથ આપનાર એક દિશા દર્શક છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પણ ગુણવત્તાવાળુંશિક્ષણ પહોંચે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે નવા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શિક્ષક બનવાની પ્રેરણા આપી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત થવા આહ્વાન કર્યું.આ પ્રસંગે ઉપસ્થિત તમામ નવા શિક્ષણ સહાયકોમાં નવોત્સાહ અને સેવાભાવ જોઈ શકાયો હતો. સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આયોજિત કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડી જે પ્રશંસનીય છે. ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોનીઘટને પૂરવા તેમજ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજ્જ્વળ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ખાડા પૂરવાનું કાર્ય:ભરૂચ પાલિકાએ ચોમાસામાં બિસ્માર રસ્તાઓ પર થીંગડા મારવાનું શરૂ કર્યું
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.રસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે, ખાડા દેખાતા નથી અને તેમાં વાહનો પછડાતા અનેકવાર નાના-મોટા અકસ્માત થયા છે. આ પરિસ્થિતિને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે યોગ્ય આયોજનના અભાવે રસ્તાના ફરી વખત ખસ્તાહાલ થયા છે. શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.
તંત્ર દ્વારા જાહેરનામું:નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. માછીમારી સાથે સંકળાયેલ લોકો, સરકારી કર્મીને બાકાત રાખવામાં આવ્યા છે.
પતિનો ત્રાસ:તારા માતા પિતા મારું સન્માન કરતાં નથી કહી પતિનો ત્રાસ
ભરૂચ શહેરના આશુતોષ સોસાયટી-૩માં રહેતાં ફાલ્ગુનીબેનના લગ્ન વર્ષ 2011માં ગૌરવ પ્રિયવદન મોદી સાથે થયાં હતાં. લગ્નથકી તેમને બે સંતાનો હતાં. લગ્ન બાદ તે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. દરમિયાનમાં લગ્નના છ મહિના બાદથી તેના પતિ ગૌરવ મોદી નાની-નાની બાબતે તેમની સાથે બોલાચાલી કરતાં હતાં. તેમજ તારા માતા-પિતા મારૂ માનસન્માન નથી આપતાં તેમ કહી તેને માનસિક ત્રાસ ગુજારતાં હતાં. તેમના સંતાનોનો માત્ર સ્કૂલ ફી જ તેના પતિ ભરે છે બીજો કોઇ પ્રકારનો ખર્ચ આપતાં નથી. ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ પત્ની અને તેના પિયરના સગાસંબંધીઓ વિશે ખરાબ ખરાબ કોમેન્ટ કરતા કરતાં હતાં. ત્રાસ ગુજારી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
સ્વચ્છતા સર્વેક્ષણ:ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણનું કામ શરૂ
ભરૂચ જિલ્લામાં સોમવારથી સ્વચ્છતા સર્વેક્ષણ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નવ તાલુકાના કોઈપણ ગામમાં સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી કરવામાં આવશે. જેમાં સર્વેક્ષણ ટોમ 1000 ગુણ માંથી તપાસ કરી ગુણ આપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યમાં રેંક આપવામાં આવશે. જેને લઈને હાલ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મોબાઈલના માધ્યમથી સીટીઝન ફીડબેક પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે. જેમાં દરેક નાગરિક 10 જેટલા સવાલ આપવામાં આવશે જેમાં સ્વછતાને લગતા સવાલ પૂછવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ મુજબ 240, 540, 120 અને 100 મળી કુલ 1000 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ ભરૂચ જિલ્લામાં વર્ષ 2023 ના છેલ્લી વખત કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ વર્ષે ચાલુ કરવામાં આવ્યો છે. ઉલેખનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ નો પ્રારંભ કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળ જળ અને સ્વચ્છતા વિભાગે 29 મે આંબેડકર ભવન ન્યુ દિલ્હી થી લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ગૌરી વ્રતનો પ્રારંભ:આજથી ગૌરીવ્રતનો પ્રારંભ, તૈયાર જ્વારા ખરીદવા ભીડ
આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે.ભરૂચ શહેર સહીત સમગ્ર જિલ્લાની બાળાઓ અને કુંવારિકાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરશે.નાની બાળાઓન હવે તૈયાર જવારા બજારમાં વેચાઈ રહ્યા છે 8 જુલાઇ 2025 થી કુંવારિકાઓ આ વ્રતની શરૂઆત કરશે. નાની બાલિકાઓ સવારના પહોરમાં શિવમંદિર જઈને શિવ-પાર્વતીની પૂજા કરતી હોય ત્યારે તેમને જોવા માત્રથી જાણે આપણા બધા પાપ ધોવાઇ જતાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે.આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે જેમાં બાલિકાઓ મીઠા વગરના ઉપવાસ કરે છે, જવારા વાવે છેઅને તે પાંચ દિવસ આ જવારાની પૂજા કરે છે. જવારામાં ખાસ તો જવ, ઘઉં, તુવેર, મગ, ચોખા, તલ અને ડાંગર એમ સાત ધાનને માટીમાં વાવવામાં આવે છે. જવારાના પૂજનમાં કુમકુમ, અક્ષત અને અબીલ ગુલાલ તેમજ દૂધથી પૂજા કરે છે. પાંચમાં દિવસે આ વ્રત કરનારી બાલિકાઓ જાગરણ કરે છે,
વરસાદે વિરામ લીધો:ભરૂચમાં ત્રણ દિવસના સતત વરસાદ બાદ ફરીથી વિરામ
ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસ સતત વરસાદ બાદ ફરી વરસાદે વિરામ લીધો છે. ત્યારે દિવસ દરમિયાન જિલ્લાના નેત્રંગ તાલુકામાં 2 મિમી વરસાદ પડ્યો હતો તે સિવાયના તાલુકામાં વરસાદ નોંધાયો નથી. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમ છતાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. જોકે અગાઉ ત્રણ દિવસ આવેલ વરસાદમાં શહેરી વિસ્તારમાં પાણી ભરાયા હતા. આમ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 77 થી 89 ટકા અને પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન 26 મિમી જેટલો વરસાદ પડવાની શક્યતા છે. સાથે મહત્તમ તાપમાન પણ એક ડિગ્રી વધી વધવાની શક્યતા છે. વરસાદે વિરામ લેતાં ખેડૂતોને ખેતી કામ કરવા માટે સમય મળશે, જેમાં ખેતરમાં દવાનો છંટકાવ તેમજ ખાતર નાખી શકશે.
સાંસદનું નિવેદન:નર્મદામાં મનરેગા યોજનામાં બે વર્ષથી કામ જ થયાં નથી
ભરૂચ અને નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વિકાસકામો શંકાના દાયરામાં છે. તેવામાં ભરૂચના સાંસદે કહયું છે કે, નર્મદા જિલ્લામાં બે વર્ષથી મનરેગા યોજનામાં કામ જ થયા નથી, લાલીયાવાડી ચાલી છે તેમ છતાં અધિકારીઓ કરોડો રૂપિયાના કામ થયો હોવાનો દાવો કરી રહયાં છે. નર્મદા જિલ્લામાં દિશા સમિતિની બેઠક સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, કલેક્ટર એસ.કે મોદી સહિત સંલ્ગન વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહયાં હતાં. સાંસદે કહ્યું કે મનરેગા યોજના કોઈક ને કોઈ વિવાદ માં આવાના કારણે નર્મદા જિલ્લામાં છેલ્લા 2 વર્ષ થી મનરેગા ના કોઈ પણ કામ થયા નથી. ભલે અધિકારીઓ કહેતા હોય કે જિલ્લામાં મનરેગામાં કરોડોના કામો થાય પણ 2 વર્ષ થી કોઈ કામો થાય જ નથી.નવા ટેન્ડર થઈ ગયા છે પણ હજુ વર્ક ઓર્ડર આપ્યા નથી..જે વિભાગના કર્મચારીઓ આ બેઠકમાં હાજર નથી રહ્યાં તેમના ખુલાસા પણ મંગવામાં આવે.દર 3 મહિને વિકાસના કામોની સમીક્ષા માટે મહત્વ ની રહેતી હોય છે દિશા સમિતિ બેઠક તેમાં અધિકારીઓ હજાર ના રહે તે નહીં ચાલે તેમ તેમણે જણાવ્યું હતું
પૂરનો ખતરો:કીમ નદીની સપાટી વધતાં સાહોલ ગામમાં પૂરનો ખતરો
વાલિયા અને નેત્રંગ તાલુકામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે કીમ નદીમાં નવા નીર આવ્યાં છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામ પાસે નદીના જળસ્તર ઝડપથી વધી રહયાં છે. નદીના કિનારે સ્મશાન માટેનો શેડ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો છે તથા કાંઠા વિસ્તારના બાંકડાઓ પણ પાણીમાં ડૂબી ગયાં છે. અંકલેશ્વરથી સુરત ને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઇ રહ્યો છે. કિમ નદીના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસતા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના નીર નો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ કીમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરમાં પણ પાણી ફરી વળ્યા હતા. હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વર થી સુરત ને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.
નવા નીરની આવક:નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 35 સેમી વધીને 117.59 મીટર પર પહોંચી
સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી માં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા બંધના કેચેમન્ટ વિસ્તાર મધ્યપ્રદેશમાં વરસાદને પગલે પાણી આવકમાં વધારો નોંધાયો છે. બીજીબાજુ મધ્યપ્રદેશના ડેમો ના પાવરહાઉસ ચાલુ કરતા પાણી ડિસ્ચર્જ પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ગત રોજ 117.24 મીટર ની હતી જે વધી ને સાંજે 117.59 મીટર થઇ છે એટલે પાણી ની અવાક માં વધારો નોંધાઈ રહ્યો છે. અને 24 કલાક માં જળસપાટી 35 સેમી વધારો નોંધાયો છે.હાલમાં નર્મદા ડેમના ઉપરવાસમાંથી 60,986 ક્યુસેક પાણી ની અવાક થઇ રહી છે. જેની સામે રિવરબેડ પાવરહાઉસ 33,475 ક્યુસેક પાણી ખર્ચ કરે છે જયારે કેનાલહેડ પાવર હાઉસ 2701 કયુસેક પાણી ખર્ચ કરે છે નર્મદા નદીમાં 33,475 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. હાલ પાણીની આવક વધતા નર્મદા બંધના પાવર હાઉસના કલાકો પણ વધારી દેવામાં આવ્યા છે.
ખેડૂતોને આર્થિક ફટકો:અંકલેશ્વર- હાંસોટમાં વરસાદથી પાણી ભરાતાં ડાંગરના પાકનું ધરુ નિષ્ફળ
ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન ની શરૂઆત જ ધોધમાર વરસાદથી થઈ હતી. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ખેડૂતોએ કરેલ વાવેતર બાદ સતત આવેલા વરસાદના કારણે કેટલાક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. અંકુરિત થયેલો પાક 24 કલાકથી વધુ પાણીમાં ડૂબી રહેતા પાક નિષ્ફળ જાય છે. ત્યારે ખાસ કરીને ડાંગરના ધરૂ માટે ડાંગરનું વાવેતર કર્યા બાદ સતત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાતા હાંસોટ તાલુકામાં મોટા ભાગના ખેડૂતોનું ડાંગરનું બિયારણ નિષ્ફળ જતાં બિયારણ અને મજૂરી મોંઘી પડી છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. શહેરા ગામના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમના ગામમાં 15 એકર થી વધુ ડાંગરના ધરું તૈયાર કરવા માટે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે સતત વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ રહેતા તેમાં ડાંગરનું બિયારણ નિષ્ફળ ગયું છે. પાણી ખેતરમાં ભરાઇ રહેવાના કારણે સમસ્યા સર્જાઇ આવર્ષે મેં એક એકર જમીનમાં ડાંગર ધરુ માટે ડાંગરનું વાવેતર કર્યું હતું. પરંતુ સતત વરસાદ પડવાને કારણે વધુ પાણી ખેતરમાં ભરાઇ રહેવાના કારણે ડાંગરનું બિયારણ ફેલ થયું છે. જેથી બિયારણ અને મજૂરી માથે પડી છે. આમ બિયારણ અને મજૂરી મળી 12 હજાર જેટલો અંદાજે ખર્ચ થયો હતો. જેથી ફરી વાર ડાંગરનું વાવેતર કર્યું છે. હવે વરસાદ પડશે તો બિયારણ ફેલ થવાની શક્યતા છે. > રાકેશભાઈ, શેરા ગામ આર્યન સલ્ફેટનો ઉપયોગ કરવો હિતાવહભરૂચ જિલ્લામાં સતત વરસાદ પડી રહયો હોવાથી ખેડૂતોએ વાવેતર કરેલું બિયારણ નિષ્ફળ ગયું છે અને ખેતરોમાં પાણી હોવાથી નવા બિયારણનું વાવેતર કરી શકાતું નથી. હાલમાં પડી રહેલાં વરસાદમાં ડાંગરના ધરૂને નુકસાન થવાની સંભાવના વધુ છે. ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર તાલુકામાં ડાંગરની સૌથી વધારે ખેતી કરવામાં આવે છે. ખેડૂતોએ ખાસ કરીને તેમના ખેતરમાં જો વરસાદી પાણી ભરાઈ રહેતું હોય તો તેનો તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવી જેથી પાકને નિસફળ થતો અટકાવી શકાય છે. સાથે જ્યાં ડાંગરના ધરૂ તૈયાર થાય હોય અને પીળાશ આવી ગયો હોય તો ખેડૂતોએ આયર્ન સલ્ફેટ નો ઉપયોગ કરવો જેથી ધરૂ ને રક્ષણ મળશે. વધુ વરસાદના કારણે ડાંગરનું બિયારણ ફેલ ગયું
બાગની રોનક ઘટી:સાધલીની રોનક ગણાય એવા પંચવટી બાગની સારસંભાળના અભાવે દુર્દશા
શિનોર તાલુકામાં સૌથી વધુ સદ્ધર ગણાતી સાધલી ગ્રામ પંચાયત છે. સાધલી ગામમાં પંચવટી બાગ બનાવવામાં આવ્યો છે. અગાઉ સાધલી બાગની રોનક હતી. આજુબાજુના ગામોમાંથી નાના બાળકો રમવા તથા બેસવા માટે આવતા હતા. હાલમાં ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. ગામની બાળાઓ ઉપવાસ કરી ફરવા આવતી હોય છે. તેમ છતાં પણ સાધલી ગ્રા.પં. આ બાગની સાફ સફાઇ કરાવી શકતું નથી. બાગમાં મોટું ઘાસ ઉગી નીકળ્યું છે. જેમાં સાપ તથા અન્ય ઝેરી જાનવર ભરાઇ રહે તેમ છે. બાગની ચારે બાજુની કંપાઉન્ડ વોલ પણ તૂટી ગઈ છે. રમત ગમતના સાધનો જેવા કે લપસણી, ઝુલા, ચકરડી ઉપરાંત બેસવા માટેના બાંકડા પણ તૂટી ગયા છે. પંચવટી બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નોનવેજ સહિતની ખાણી પીણીની લારીઓ ખુલ્લે આમ વગર લાઇસન્સથી ધંધો કરે છે. ત્યાં ભયંકર ગંદકી ફેલાઇ છે. બાગમાં રાત્રીના સમયે લુખ્ખા તત્વો દારૂ પીતા પણ નજરે પડતા હોય છે. સાધલી આઉટપોસ્ટના જમાદાર દ્વારા આની તપાસ કરાય તે જરૂરી છે. આવું બધું હોવા છતાં સાધલી ગ્રામ પંચાયતના વહીવટ કર્તાઓ એકદમ ચૂપ થઈ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગે છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી કમ મંત્રી દ્વારા પંચવટી બાગમાં વહેલી તકે સાફ સફાઇ કરાવાય તેમજ રમત ગમતના સાધનો તથા કમ્પાઉન્ડ વોલ પણ નવી બનાવાય એવી ગ્રામજનોની માગ છે. બાગને દત્તક લઇ તેની સંભાળ લેવાની જવાબદારી લેવા ગામના વકીલની તૈયારીસાધલીનો પંચવટી બાગ સાફ સફાઇ તથા દેખરેખના અભાવે ગૌરી વ્રતમાં ઉપયોગી થઇ શકે તેમ ન હોવાની જાણ સાધલીના એડવોકેટ / નોટરી જાવેદભાઇ લુહારને થઇ હતી. આથી તેમણે ગામના અગ્રણીઓ અને ગ્રામ પંચાયત પરવાનગી આપે તો આ બાગને દત્તક લઇ તેની સાફ સફાઇ તથા સંભાળની સઘળી જવાબદારી લેવા તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે ટીમ્બરવા ગામે યુવા સંગઠન વિકાસ કામો કરી રહ્યું છે, તેવી જ રીતે આ પંચવટી બાગની સાર સંભાળ લેવા એડવોકેટ જાવેદભાઇ સંપૂર્ણ રીતે તૈયાર છે. ગ્રામ પંચાયત આ બાબતે શું વિચારે છે તે આગામી સમયમાં ખબર પડશે.
ગ્રામજનોની મજબૂરી:પોથલીપુરામાં 400 ગ્રામજનો જીવના જોખમે અશ્વિન નદીમાંથી જવા મજબૂર
નસવાડી તાલુકાના પોથલીપુરા ગામે 5 કરોડનો પુલ સરકારે મંજૂર કર્યાને દોઢ વર્ષ થવા આવ્યું. હજુ પુલને લગતી કામગીરી શરૂ કરાઇ ન હોઇ ભર ચોમાસે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે અશ્વિન નદી પસાર કરવા મજબૂર બન્યા છે. ભારે વરસાદમાં બાળકોને શાળાએ પણ મોકલી શકાતા નથી. પોથલીપુરા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. કારણ કે અશ્વિન નદી ગામ વચ્ચેથી પસાર થાય છે. હમણાં ચોમાસામાં પોથલીપુરાના ડુંગરી ફળિયાના 50 ઘરના ગ્રામજનો જીવના જોખમે અશ્વિન નદી પાર કરવા મજબૂર બન્યા છે. તો વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના બાળકો હેરાન બન્યા છે. કારણ કે સતત વરસાદથી અશ્વિન નદીમાં વારંવાર પાણી આવી જતું હોઇ વાલીઓ તેમને શાળાએ પણ નથી મોકલી શકતા. ગામની એકબાજુ આંગણવાડી અને એકબાજુ શાળા આવેલી છે. એટલે બંને બાજુ આદિવાસી બાળકો હેરાન બને છે. ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆત બાદ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીની મુલાકાત બાદ સરકારે છ ગાળાનો માઇનોર બ્રિજ મંજૂર કર્યો છે. જેનો જોબ નંબર ફાળવ્યાને દોઢ વર્ષ થવા આવ્યું છે. હજુ નસવાડી પંચાયત આર એન્ડ બી દ્વારા ગ્રામજનોને એવું કહેવામાં નથી આવ્યું કે તમારા ગામનો માઇનોર બ્રિજ ક્યારે બનશે. હાલ તો ગ્રામજનો વિદ્યાર્થીઓ સૌ ભર ચોમાસે અશ્વિન નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. પુલ મંજૂર થયો પણ બનશે ક્યારે તેવા પ્રશ્નો ગ્રામજનો કરી રહ્યા છે. નદીમાં પાણી હોઇ બાળકોને શાળાએ મોકલતા નથીઅશ્વિન નદી ગામ વચ્ચેથી પસાર થાય છે. જેના કારણે 400 ગ્રામજનો હેરાન છે. હમણાં ચોમાસામાં નદીમાં વધુ પાણી રહેતું હોઇ જીવના જોખમે બધા નદી પસાર કરે છે. વરસાદ વધારે હોય એટલે વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા નથી. સરકારે પુલ મંજૂર કર્યો હવે ક્યારે બનાવશે તે કોઈને ખબર નથી. શું અમારે આ જ રીતે દુઃખ વેઠવાનું? > અજય ભીલ, સ્થાનિક, ડુંગરી ફળિયા ભારે વરસાદ હોય ત્યારે 15 કિલોમીટર ફરીને સામે જવાય ભારે વરસાદ હોય એટલે અશ્વિન નદીમાં પાણી આવે એટલે ઘોડાપુર આવે છે. અમારે પોથલીપુરા નિશાળ ફળિયામાં જવુ હોય તોય 15 કિલોમીટર ફરીને જવું પડે. નદીમાં પાણી ઉતરે તો જઈએ ને. ખેડૂતોની ખેતી બંને બાજુ એટલે આખું ગામ હેરાન છે. સરકાર પુલ મંજૂર કર્યો તેમ કહે છે પણ અહીંયા બને તો ખબર પડે કે પુલ બન્યો. ત્યાં સુધી તો આવું જ રહેવાનું. > વિજય ભીલ, સ્થાનિક, પોથલીપુરાદોઢ વર્ષથી જોબ નંબરફાળવાયો, પુલ બનતો નથીફેબુઆરી 2024માં પોથલીપુરા માઇનોરબ્રિજની જાહેરાત કરાઇ હતી. એને દોઢવર્ષ હવે થશે હજુ પુલનું કશું થયું નથી.તો આવો કેવો જોબ નંબર ફળવાયો કેહજુ એની કામગીરી કરાતી નથી. વિકાસવિકાસના બીજા કામો રાતોરાત થાય તોઆ કામ ક્યારે કરવામાં આવશે ?અમારે હમણાં ખેતીના સમયે ખેતરોમાંકામકાજને લઈ સામા પાર જવુ અઘરું પડેછે. > નટુભાઈભીલ, ખેડૂત, પોથલીપુરા
ગુજરાતકી આંખોકા તારા, સાપુતારા. એ ગુજરાતનું એકમાત્ર લાડકુ ગિરિમથક છે. અહીંની ગિરિકંદરાઓમાં, પ્રકૃત્તિએ મન મુકીને સૌંદર્ય વેર્યું છે. સહયાદ્રીની ગિરિકંદરાઓથી શોભતું સાપુતારા, હવે તો મધ્યમ, ઉચ્ચ મધ્યમ, અને ધનાઢ્ય વર્ગના લોકોનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનસમૃદ્ધિથી ભરપુર, અને ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું, ડાંગ જિલ્લાનું આ રમણિય ગિરિમથક, સમુદ્ર સપાટીથી 1100 મીટરની ઊંચાઇએ આવેલું છે. ડાંગ જિલ્લાને ચોમેરથી ઘેરીને ઊભેલી સહયાદ્રીની પર્વતોની હારમાળાઓ પર આવેલું, અને ગુજરાતની સરહદને, મહારાષ્ટ્રથી વિખૂટું પાડતું સાપુતારા, બારે માસ પર્યટકોથી ઉભરાતું રહે છે...તો આવો નીહાળીએ સાપુતારોનો આકાશી નજારો... સાપુતારામાં જોવા જેવું શું છે? સાપુતારામાં, જોવા અને જાણવા લાયક અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. ગુજરાત તરફથી સાપુતારામાં પ્રવેશો, એટલે સ્વાગત સર્કલ ઉપર આકર્ષક ફૂવારા, રંગબેરંગી ફૂલો સહિત ખુશનુમા આબોહવા, તમારૂ જાણે કે દિલથી સ્વાગત કરે છે. પહાડી પ્રદેશના ઘાટવાળા, વાંકાચૂકા-સર્પાકાર માર્ગો પાર કરીને, તમે 1100 મીટરની ઊંચાઇએ પહોંચો, એટલે શુદ્ધ અને તાજી હવા, તમારા ફેફસાંને નવુ ઓક્સિજન પુરૂ પાડતી હોય, તેવુ મહેસૂસ થાય છે. અહીંથી સીધા આગળ વધો, એટલે ડાબા હાથે ખાણીપીણીની લારીઓ, સ્ટોલ્સની વચ્ચે વિશાળ પાર્કિંગ એરિયા, અને તેની પાછળ ડાંગ જિલ્લાની આદિવાસી-ભાતિગળ સંસ્કૃતિના દર્શન કરાવતું, રાજ્ય સરકારનું વિશાળ સંગ્રહાલય, તમને ડાંગ જિલ્લાની રહેણીકરણી, રીતરિવાજો, ભાતિગળ સંસ્કૃતિથી વાકેફ કરાવે છે. આ મ્યુઝિયમના પટાંગણમાં આવેલી, નાગરાજ-સર્પની વિશાળ પ્રતિમા પાસે, સહેલાણીઓ સપરિવાર તસવીર ખેંચાવવાનો આનંદ રોકી શકતા નથી. ઝારમર વરસાદ વચ્ચે નાસ્તાની જીયાફત સાપુતારાથી 30 km અગાઉ આવતા દેવીપાડા ગામમાં ગરમાગરમ ભજીયા ઝાપટી પર્યટકો સાપુતારા તરફ આગળ વધે છે, હાલમાં ચોમાસાની સિઝન પુર બહારમાં ખીલી છે, જેથી પર્યટકો કુદરતી સૌંદર્યને નજીકથી માણવા માટે સાપુતારા તરફ દોટ લગાવે છે,મોટાભાગે પર્યટકો સુરતના હોય છે એટલે સાપુતારાથી 30 km અગાઉ આવતા દેવીપાડા ગામ પાસે નાનકડો બ્રેક લઈ ગરમાગરમ ભજીયાનો આ સ્વાદ માણી આગળ વધે છે. એક વર્ષથી બંધ સર્પગંગા તળાવ તાજેતરમાં જ શરૂ થયુંરાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણી બોટિંગ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યમાં થતી બોટિંગ પ્રવૃત્તિ ઉપર સેફટીને ધ્યાને લઈ હંગામી ધોરણે રોક લગાવી હતી જેને કારણે સાપુતારામાં સર્પગંગા તળાવમાંનું આકર્ષણ ગણાતી બોટીંગ પણ બંધ કરવામાં આવ્યું હતું જેને લઇને લાખો પર્યટકો નિરાશ થયા હતા પરંતુ તાજેતરમાં જ આ બોટિંગ સરકારના નવા નિયમો મુજબ સેફટી સાથે શરૂ કરવામાં આવ્યા છે સર્પગંગા તળાવમાં પરિવારો બોટમાં બેસી તળાવની મજા માણી રહ્યા છે. આ તળાવની ફરતે આવેલી દુકાનો તેમજ મીની બાઈક, સેગવે બાઈક સાયકલ રાઈડરો પણ તળાવ શરૂ થવાથી 20 થી વધુ સ્થાનિક આદિવાસી યુવાનો રોજગારી પરિવાર શરૂ થઈ છે. સનરાઈઝ અને સનસેટ પોઇન્ટ સાપુતારાનું આકર્ષણઅખૂટ નૈસગિક સૌંદર્ય અને ખુશનુમા આબોહવા ધરાવતા સાપુતારામાં એક એકથી ચડિયાતા પ્રાકૃતિક પોઇન્ટસ આવેલા છે. અહીં વહેલી પ્રભાતે, ડુંગરોની આડશમાંથી બહાર આવતા રતુંમબડા રંગના, ઉગતા સૂર્યની સવારી, અને સાપુતારાના ફલકને, લાલચોળ રંગે રંગાઇ જતુ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. તો ઢળતી સંધ્યાએ; લાલચોળ સૂર્યને, ડુંગરોની પછવાડે, ખૂબ જ ગતિથી સંતાઇ જતા-આથમી જતા જોવાની પણ એક અનેરી મઝા છે. આ માટે અહીં સનરાઇઝ પોઇન્ટ, અને સનસેટ પોઇન્ટના નામે ઓળખાતા ડુંગરો ઉપર, પ્રશાસને પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે, પાયાયિ સગવડ ઉપલબ્ધ કરાવી છે. જ્યાંથી સલામત રીતે પ્રવાસીઓ કુદરતની આ કરામતને નિહાળી શકે છે. સાથે જ,અહીં સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ્સ, ગવર્નર હીલ, બોટીંગ પોઇન્ટ, ઇકો પોઇન્ટ, અષ્ટવિનાયક મંદિર, નાગેશ્વર મંદિર, જૈન મંદિર, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારીઝ આર્ટ ગેલેરી, આર્ટીસ્ટ વિલેજ, આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતું સંગ્રહાલય, ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના પ્રવાસન સ્થળોની સતસવીર માહિતી પુરી પાડતુ માહિતી ખાતાનું પ્રદર્શન કેન્દ્ર, સ્ટેપ ગાર્ડન, વનૌષધિ ગાર્ડન, વન ચેતના કેન્દ્ર અને વન નર્સરી, રોઝ ગાર્ડન, મિલેનિયમ ગાર્ડન, લેક ગાર્ડન, મધમાખ ઉછેર કેન્દ્ર, અંબિકા દર્શન સહિત અનેક નામીઅનામી સ્થળ, પોઇન્ટ્સ આવેલા છે. જેની પ્રવાસીઓ અચૂક મુલાકાત લેતા હોય છે. ભૂખ લાગી આટલી વાનગીઓ અહીં મળશેગિરિમથક સાપુતારાનો ખોળો ખૂંદતા સહેલાણીઓને માટે અહીં પરંપરાગત વાનગીઓના રસથાળ ઉપરાંત ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓ ફાસ્ટફૂડના શોખીનો માટેની અનેકવિધ વેરાયટી, નૉનવેજના રસિયાઓ માટે દેશી અને વિદેશી ચિકન સહિતની લીજ્જતદાર વાનગીઓ, ઉપરાંત અહીં મ્યુઝિયમના પટાંગણમાં આવેલી ખાઉંગલી અને સાંઇ બજારના ઢાબા, ફાસ્ટફૂડ રેસ્ટોરાં સહિતની નામી-અનામી અનેક હોટલો પ્રવાસીઓને સંતોષનો ઓડકાર આવે તેવુ ભોજન પીરસવા હાજરાહજુર છે. કુદરતી ફળ અહીંનો ખજાનોસાપુતારાની આસપાસના વિસ્તારોમાં થતી સ્ટ્રોબેરી, બ્લેકબેરી, દ્રાક્ષ અને કિસમીસ, કુદરતી મધ અને હનીચીકી, જેલી-જામ અને ચોકલેટ્સ, જમરૂખ-કાકડી-કેરી અને બોર જેવી ખટમીઠી ચીજવસ્તુઓ, નાગલી/રાગીની વિવિધ આઇટમો, બામ્બુ-વાંસનું અથાણું, લીંબુપાણી અને સ્ટ્રોંગ સોડા સહિત અનેકવિધ ચટાકેદાર ચીજવસ્તુઓ, કોલ્ડ્રીંક્સ સહિત ચા-કોફી-બોર્નવિટા અને મસોલદાર દૂધ, અહીંથી મિત્રો અને પરિવારને ગીફ્ટ આપવા માટે લઇ જવાતી બામ્બુ ક્રાફ્ટની જુદી જુદી ચીજવસ્તુઓ, ઇમીટેશન જ્વેલરી વિગેરે પણ અહીં સરળતાથી ઉપલબ્ધ છે. સાપુતારાથી હોટલ ઉદ્યોગને વેગ મળ્યોસહેલાણીઓની સેવામાં અહીં સાપુતારા દર્શન માટેની જીપ, ગાઇડ, અને હોટલ/રૂમ્સ શોધવામાં મદદ કરતા સ્થાનિક યુવાનો/એજન્ટ, આઉટડોર ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફર્સ પણ હાજર છે.સાપુતારા ખાતે રાત્રી રોકાણ કરતા સહેલાણીઓ માટે હોટલોની પણ એક આખી શ્રૃંખલા તૈયાર છે. ગુજરાત પ્રવાસન નિગમની હોટલ તોરણ, વ્હાઇટ ફેધર સહિત પૂર્ણા ડોરમેટરી, સ્ટાર કેટેગરીની હોટલો શિલ્પી, લેક વ્યૂ, લોર્ડ્સ આકાર, પતંગ, વૈતી, આનંદો, શવશાંતિ, ચિત્રકૂટ સહિતની અનેકવિધ હોટેલ્સ પ્રવાસી પરિવારના બજેટને અનુરૂપ અહીં તેમની સેવાઓ પુરી પાડે છે. તો પ્રશાસન દ્વારા સીઝન દરમિયાન ટેન્ટ વિલેજ પણ તૈયાર કરીને, પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવે છે. સાપુતારમ તાપમાન કેવું હોય...?સમુદ્રી સપાટીથી અંદાજીત 1100 મીટરની ઊંચાઇએ આવેલા ગુજરાતના એકમાત્ર લાડલા ગિરિમથક એવા સાપુતારાનું તાપમાન શિયાળામાં સરેરાશ 8થી 28 સેલ્શિયસ, અને ઉનાળામાં 28 થી 38 સેલ્શિયસ જેટલુ રહેતુ હોય છે. બદલાતા વૈશ્વિક ઋતુચક્રને કારણે અહીં ગમે ત્યારે વરસાદી ઝાપટા સાથે બરફના કરા પણ પડતા હોય છે. ચોમાસમાં સાપુતારાની ખૂબસૂરતીને ચાર ચાંદ ગાલી જતા હોય છે. એક અંદાજ મુજબ અહીં વર્ષેદાડે 15 લાખ જેટલા પર્યટકો આવતાજતા હોય છે. વર્ષ દરમિયાન યોજાય છે વિવિધ મહોત્સવપર્યટકોની સાપુતારાની મુલાકાત, તેમના માટે જીવનભરનું સંભારણું બની રહે તે માટે, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે, વર્ષભર અનેકવિધ ફેસ્ટિવલોની પણ ઉજવણી કરાતી હોય છે. પતંગ મહોત્સવ, વસંતોત્સવ, ગ્રીષ્મ ઉત્સવ, વર્ષા ઉત્સવ, દિવાળી ઉત્સવ, શિયાળુ ઉત્સવ, ફૂડ ફેસ્ટિવલ, પેરાગ્લાઈડીંગ ફેસ્ટિવલ સહિત અહીં અનેકવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ આયોજિત થતી રહે છે. તો ગુજરાતી, હિન્દી ફિલ્મોના ફિલ્માંકનો માટે પણ સાપુતારા માયાનગરીને તેની તરફ આકર્ષિ રહ્યું છે. અહીંના બાગબગીચા લગ્ન સમારંભો માટે પણ ફેવરિટ થઇ રહ્યા છે. શું કહે છે સાપુતારાના સ્થાનિક વેપારીઓહાડ બજારમાં સ્ટોલ લગાવતા મહિલા જયશ્રી ઠક્કર જણાવે છે કે, હું સ્થાનિક જ છું અને અહીં ફેબ્રિક,ટેરાકોટા, બામ્બુ જ્વેલરી અમે જાતે બનાવીએ છીએ અને સાપુતારામાં જે સહેલાણી આવે છે એ લોકો અહીં આવેલા હાર્ડ બજારમાંથી ખરીદી કરે છે અને લોકોને મજા પણ આવે છે અમે અહીં ફેબ્રિક જ્વેલરી ટેરાકોટા બાબુ જ્વેલરી આ બધી જે જ્વેલરીઓ છે એ અમે જાતે બનાવીએ છીએ લોકો ફેબ્રિક જ્વેલરી વધુ પસંદ કરે છે કારણ કે નવરાત્રી નજીક આવી રહી છે જેને કારણે આ જ્વેલરીનું ખૂબ આકર્ષણ છે ટેબલ પોઈન્ટ ઉપર હોર્સ રાઇડિંગ કરાવતા રામ આધાર પાડે જણાવે છે કે, હું છેલ્લા અનેક વર્ષોથી અહીં છું અને ટેબલ પોઈન્ટ ઉપર સહેલીઓને ઘોડા ઉપર બેસાડી સહેલ કરાવું છું જૂન જુલાઈ ઓગસ્ટ સહિતના મહિનાઓમાં અમારી કમાણી સારી થાય છે ખાસ કરીને સુરતથી આવતા સહેલાણીઓ થી અમને કમાણી ખૂબ સારી થાય છે સર્પગંગા તળાવ શરૂ થવા બાબતે સ્થાનિક યુવાન સલતિયા પવાર જણાવે છે કે, હાલમાં સર્પગંગા તળાવ શરૂ થતા અમારી રોજગારી વધી છે, જ્યારે તળાવ બંધ હતું ત્યારે અમને રોજગારી ને લઈને ખૂબ તકલીફ હતી પરંતુ હવે સારું છે અમે સવારે 9:00 વાગ્યે અહીં આવીએ છીએ અને સાંજે 08:00 વાગ્યા સુધી સહેલાણીઓને રાઇડ કરાવીએ છીએ શું કહે છે સાપુતારા આવેલા પ્રવાસીઓસર્પગંગા તળાવમાં બોટિંગની મજા માણવા આવેલા આકાશભાઈ જણાવે છે કે, અમે સુરત થી આવીએ છીએ હાલમાં તો મજા આવે તેવું વાતાવરણ છે ઘણા ટાઈમથી આ સર્પગંગા તળાવ બંધ હતું એ અમને ખ્યાલ છે પરંતુ હવે બોટિંગ સેફટી સાથે શરૂ થયું છે એટલે પરિવાર સાથે બોટિંગ કરવામાં ખૂબ મજા આવી છે સાપુતારા આવીને સર્પગંગા તળાવમાં બોટિંગ કરવા મળે તો સાપુતારાનો ફેરો સફળ ગણાય સુરતથી મહિલાઓનું એક મંડળ સાપુતારા ફરવા આવ્યું હતું. દિવ્યભાસ્કર સાથે વાત કરતા સિનિયર સિટીઝન મહિલાઓ જણાવે છે કે, ઘરની જવાબદારીમાંથી થોડા સમય માટે મુક્તિ મેળવી હળવાશની પળો માણવા માટે સાપુતારા આવ્યા અહીં શોપિંગ કરવાની પણ ખૂબ મજા આવી સાયકલિંગ કરી રહ્યા છીએ એમ તો અમે મહિલાઓનું ગ્રુપ થોડા સમયના અંતરે ફરવા ઉપડી જઈએ છીએ કાંદા ના ભજીયા પૌવા અહીંનું ફાસ્ટ ફૂડ ખુબ સરસ છે અહીંનું મધ વખણાય છે એટલે મધની પણ ખરીદી કરી છે
એસેસમેન્ટ કેમ્પ યોજાયો:નસવાડીમાં દિવ્યાંગ છાત્રોના સાધન સહાયને લઈ એસેસમેન્ટ કેમ્પ યોજાયો
નસવાડીમા સમગ્ર શિક્ષા, આઈ.ઇ.ડી વિભાગ, બી.આર.સી ભવન નસવાડી ખાતે શાળામા અભ્યાસ કરતા દિવ્યાઅંગ બાળકોને સાધન સહાય મળી રહે તે માટે અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટે કેમ્પમા કુલ 84 બાળકોએ ભાગ લીધેલ હતો . જેમાં માનસિક ક્ષતિ ધરાવતા, હાથ પગની ખામી ધરાવતા, સાંભળવાની ખામી ધરાવતા અને દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા દિવ્યાઅંગ બાળકોનું અસેસમેન્ટ કરી તેમની જરુજીયાત મુજબના સાધનો આપવા માટે કેમ્પ કરવામાં આવ્યો હતો.