રાજુલા પોલીસે સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનથી બે આરોપીને ઝડપી પાડ્યા છે. જેઓ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન લોભામણી સ્કિમ આપી કપડાના વેચાણની જાહેરાત કરી છેતરપિંડી આચરતા હતા. પોલીસે પુછપરછમાં આરોપીઓએ અલગ અલગ જિલ્લાના 26 લોકો સાથે કૂલ પોણા આઠ લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. તારીખ 23/10 /2024ના રોજ ઇન્સ્ટાગ્રામમાં @મહાલક્ષ્મી ફેશન નામના એકાઉન્ટ પરથી ઓનલાઈન ચણયાચોળી તથા કપડાઓના વેચાણની જાહેરાત કરાઈ હતી. જેથી એક વ્યક્તિએ ઓનલાઈન પેમેન્ટ કરી ઓર્ડર બુક કર્યો હતો. જોકે, આરોપીએ જણાવાયું હતું કે, તમારું પેમેન્ટ ડિસ્પ્લે થયું છે જેથી તમારે ફરીથી પેમેન્ટ કરવું પડશે. આ રકમ તમને પરત મળી જશે. જેને પગલે ફરીયાદીએ ફરીથી પેમેન્ટ કર્યું હતું. જોકે, તેમ છતાં પેમેન્ટ મળ્યું ન હોવાનું કહી ફરીવાર ડબલ પેમેન્ટ કરવાનું કહી બધું પેમેન્ટ પરત મળી જશે તેમ જણાવ્યું હતું. ફરિયાદી પાસેથી અલગ અલગ ટ્રાન્જેકશન કરાવી કૂલ 99,050ની રકમ પડાવી લીધી હતી. યુવકને પોતાની સાથે ફ્રોડ થવાની જાણ થતાં સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરી ફરીયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે બાદ SP સંજય ખરાત દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા. જેથી IPS અને સાવરકુંડલા ડીવીઝનમાં ASP તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યએ આરોપીને પકડવા માટેની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન રાજસ્થાનના જયપુરમાંથી 2 આરોપીને ઝડપી લીધા હતા. સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પેજ મારફતે જાહેરાત કરી લોભામણી સ્કીમ આપી, અલગ અલગ બેંકના ખાતાઓનો ઉપયોગ કરી પેમેન્ટ કરાવી છેતરપીંડી આચરતા હતા.અલગ અલગ મોબાઈલ તથા અન્ય લોકોના નામ સરનામાં આપેલ અને આરોપીઓ પોતાની કોઇ વ્યક્તિગત સાચી માહિતી છુપાવી અને ખોટી માહિતી આપતા હતા.પોલીસે ઇન્સ્ટાગ્રામમાં @mahalaxmi_fashion એકાઉન્ટની વિગતો ચેક કરી હતી. તેમજ ફરિયાદીએ ઉપયોગ કરેલા મોબાઈલ નંબરનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું હતું. આરોપીઓ સિમ કાર્ડ અથવા મોબાઈલ તથા સીમકાર્ડ નાશ કરી નાખતા હતા. ટેક્નિકલ એનાલિસિસ કરતા આરોપીઓના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે આવ્યાં હતા. જેમાં @laxmi_collection001(2)@ekta_fashion(3)@maharani_shop(4)ekta_collection01 આ તમામ અકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આરોપીએ એક વર્ષ દરમિયાન 10 જેટલા મોબાઈલ નંબર બદલેલા જે તમામ નંબરોનું એનાલિસિસ કર્યું અને એક વર્ષ દરમિયાન આરોપીનું મુવમેન્ટનું એનાલિસિસ કર્યું હતું. જેના આધારે પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. રાજુલા પી.આઈ.એ.ડી.ચાવડાની ટીમ દ્વારા બને આરોપીને ઝડપી લીધા છે. જેમા સન્ની રાજુભાઇ સેન, રહે.જયપુર ગોનેર રોડ રાજસ્થાન, રવિન્દ્રસિંઘ જોગેન્દ્ર સિંઘ રે.જયપુર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. અને 2 આરોપી ફરાર છે જેમાં પ્રતિમ બેરવા રહે.જયપુર, મૂળ હરિયાણા, મોનું સાખલાનો સમાવેશ થાય છે. રાજુલા પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ કરતા અન્ય ગુના આચર્યા હોવાની પણ કબૂલાત કરી હતી. 2 આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધા બાદ ગુજરાત રાજ્યનું મોટું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું છે. અલગ અલગ જિલ્લાના લગભગ 26 જેટલા લોકો ભોગ બન્યા છે. લોકલ ખાતાધારકોના ખાતામાં ગેમિંગ સાઈડના પેસા નખાવી અને બંને આરોપીઓ રોકડામાં રૂપાંતર કરતા હતા. સાયબર ફ્રોડમા ભોગ બનનારની વિગતો ખુલતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી. જેમાં 99,500, આ સહિત સાયબર હેલ્પલાઇન મારફતે ફ્રોડની ફરીયાદો નોંધાય હતી. જેમાં સુરત શહેરના યુવક સાથે 30,100,અમદાવાદ શહેરના વેજલપુરની એક મહિલા સાથે 50,000,અમરેલી જિલ્લાની લીલીયા તાલુકાની મહિલા સાથે 1999,રાજકોટ શહેરની એક મહિલા સાથે 27,100,સુરત જિલ્લાના કિમ ગામની એક મહિલા સાથે 90,000,સુરત જિલ્લાના અમરોલી જિલ્લાની એક મહિલા સાથે 40,000,જૂનાગઢ જિલ્લામાં ગોરખપુરની એક મહિલા સાથે 9,500, મોરબી જિલ્લાની એક મહિલા સાથે 60,000,અમદાવાદ જિલ્લાના ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના એક યુવક સાથે 65,000, અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારની એક મહિલા સાથે 99,000 તેમજ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારની મહિલા સાથે 6600 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ઉપરાંત સુરતના ડાભોલી વિસ્તારમા મહિલા સાથે 20,000, સુરતના કતારગામની એક મહિલા સાથે 5,000, ગાંધીનગરના ક્લોલની એક મહિલા સાથે 10,000, બરોડાના માંજલપુર વિસ્તારની મહિલા સાથે 50,000, જામનગરના ધોરાજી વિસ્તારની એક મહિલા સાથે 25,000, અમદાવાદ શહેરની એક મહિલા સાથે 11,000, મહેસાણા જિલ્લામાં ઉનાવા વિસ્તારની એક મહિલા સાથે 10,000, ભરૂચ જિલ્લામાં નદેલા વિસ્તારની મહિલા સાથે 4,000, જામનગરની મહિલા સાથે 3,800, રાજકોટ જિલ્લાની જેતપુર વિસ્તારની એક મહિલા સાથે 2,000, સુરત શહેરની મહિલા સાથે 1,000 મળી કુલ 7,76,199ની છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન વધુ વિગત ખુલી શકે છે.
પોસ્ટ વિભાગને આગામી પેઢીની APT એપ્લિકેશન IT 2.0ના રોલ આઉટની જાહેરાત કરતા ગર્વ થાય છે, જે ડિજિટલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્ર નિર્માણ તરફની અમારી સફરમાં એક મોટી છલાંગ છે. આ પરિવર્તનશીલ પહેલના ભાગ રૂપે, અપગ્રેડેડ સિસ્ટમ 21.07.2025ના રોજ અમદાવાદ GPOમાં લાગુ કરવામાં આવશે. આ અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ પર સીમલેસ અને સુરક્ષિત સંક્રમણને સક્ષમ કરવા માટે, 21.07.2025ના રોજ આયોજિત ડાઉન ટાઇમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. 21.07.2025ના રોજ, પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં. ડેટા સ્થળાંતર, સિસ્ટમ માન્યતા અને ગોઠવણી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે સેવાઓનું આ કામ ચલાઉ સસ્પેન્શન જરૂરી છે, જેથી ખાતરી થાય કે નવી સિસ્ટમ સરળ અને કાર્યક્ષમ રીતે લાઇવ થાય. APT એપ્લિકેશન વપરાશ કર્તા અનુભવને વધારવા, ઝડપી સેવા વિતરણ અને વધુ ગ્રાહક-મૈત્રી પૂર્ણ ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સ્માર્ટ, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર પોસ્ટલ કામગીરી પહોંચાડવા માટેની અમારી અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અગાઉથી તેમની મુલાકાતોનું આયોજન કરે અને આ ટૂંકા વિક્ષેપ દરમિયાન અમારી સાથે રહે. તમને થયેલી કોઈ પણ અસુવિધા બદલ અમે ખૂબ જ દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે આ પગલાં દરેક નાગરિકને વધુ સારી, ઝડપી અને વધુ ડિજિટલી સશક્ત સેવાઓ પહોંચાડવાના હિતમાં લેવામાં આવી રહ્યા છે. પેન્શન ચૂકવણાં કચેરી અમદાવાદની હંગામી બેઠક વ્યવસ્થા બાબતપેન્શન ચૂકવણાં કચેરી અમદાવાદના સન્માનનીય પેન્શનરોને વધુ સારી સગવડ અને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કચેરીનું રીનોવેશન કરવાનો નિર્ણય લેવાયેલ હોવાથી તા.21/07/2025 ના સોમવાર થી આ કચેરીની હંગામી બેઠક વ્યવસ્થા જિલ્લા તિજોરી કચેરી,અમદાવાદ, સેશન્સ કોર્ટની બાજુમાં ભદ્રમાં રહેશે.જેની સર્વે પેન્શનરો તથા સબંધિતોએ નોંધ લેવા વિનંતી.
થાનગઢના જામવાળી ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે કોલસાની લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 151માં આવેલી આ લીઝમાં અનેક નિયમભંગ મળી આવ્યા. લીઝ હોલ્ડર વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર દ્વારા સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. સ્થળ પર બે ક્રશર પ્લાન્ટ, ચારણો અને 400 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો મળી આવ્યો. કુલ 80.50 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. તપાસણીમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી. લીઝની હદ નિશાની યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. કોલસાના સ્ટોક અંગેનું કોઈ રજિસ્ટર નિભાવવામાં આવ્યું ન હતું. વરસાદી પાણી ભરેલી લીઝમાંથી મળેલા કોલસાના જથ્થાનો સ્રોત સ્પષ્ટ નથી. સરકારી જમીન સર્વે નંબર 155માં વગર પરવાનગીએ 4 હેક્ટર જમીન પર વેસ્ટ માલનો સ્ટોક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગેરકાયદે 4 કોલસાના કૂવા પણ મળી આવ્યા. મજૂરો માટે 37 ઝૂંપડા બાંધવામાં આવ્યા હતા, જેમાં કોઈ સુરક્ષા સુવિધાઓ ન હતી. લીઝ 2021 સુધી જ રિન્યૂ થયેલી હતી અને ત્યારબાદના રિન્યૂઅલના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. વિસ્ફોટક પદાર્થોનું રજિસ્ટર પણ નિભાવવામાં આવ્યું નથી. બાજુની ખાનગી ખેતીની જમીનનો પણ બિનઅધિકૃત બિનખેતી ઉપયોગ કરવામાં આવ્યો છે. લીઝમાં ઉ૫યોગમાં લેવામાં આવતા એક૫ણ વાહનોનું સરકારશ્રીની જોગવાઇઓ મુજબ VTMS માં નોંઘણી કરાવેલ નથી. અને કેટલો કોલસો લીજમાંથી કાઢવામાં આવેલ છે, કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે તે અંગેનું કોઇ૫ણ રેકર્ડે નિભાવવામાં આવેલ નથી. વઘુમાં સ્થળ ઉ૫ર જ ખાણ ખનિજ અઘિકારી / કર્મચારીઓ દ્વારા ઓ૫ન કટીંગવાળા સ્થળે પાણી ભરેલ હોવાથી બહાર પડેલ ખનિજના ઢગલાઓની તથા લીઝ મંજુર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજુર થયેલ છે તે અંગે મા૫ણી કરવામાં આવી.
વલસાડના અતુલ વિસ્તારમાં શુક્રવારે એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે. મધ્યપ્રદેશની રહેવાસી કિશોરીએ પોતાના રૂમમાં દુપટ્ટાથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. કિશોરી લગભગ 15-20 દિવસ પહેલા જ પોતાના ભાઈ સાથે છૂટક મજૂરી માટે અતુલ આવી હતી. બંને ભાઈ-બહેન અતુલની ચાલીમાં ભાડાના રૂમમાં રહેતા હતા. ઘટના સમયે કિશોરીનો ભાઈ નોકરીની શોધમાં બહાર ગયો હતો. રૂમમાં એકલી રહેલી કિશોરીએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. કિશોરીને લટકતી જોઈને આસપાસના રહેવાસીઓએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓ અને વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. પરિવારજનોના નિવેદન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે એક યુવકનું શંકાસ્પદ અવસ્થામાં ઘરે મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. પરિજનોના આક્ષેપ મુજબ દેશી દારૂ પીવાથી યુવકનું મૃત્યુ થયું છે. જોકે, પોલીસે કહ્યું છે કે, પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. આ ઘટના આજે બપોરના સમયે બની હતી, જ્યારે યુવક બહારથી ઘરે આવીને સુઈ ગયો હતો. બાદમાં પરિવારના સભ્યોએ જગાડતા તે ભાનમાં આવ્યો ન હતો. હતભાગી યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે અંગેની જાણ ગાગોદર પોલીસમાં કરતા પોલીસે પીએમ માટે મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પરિવારની મદદે દોડી આવ્યા છે. દરમિયાન મૃતકના પિતરાઈ ભાઈ મુકેશ ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી તુલસી ત્રણ દિકરોનો પિતા છે અને ગ્રેજ્યુએટ પાસ છે, તેણે પીએસઆઇની પરીક્ષા પણ આપેલી છે. હાલ વ્યાજબી ભાવની દુકાનમાં નોકરી કરતો હતો. વધુમાં કહ્યું કે, પોલીસમાં અનેક વખત દેશી દારૂનું વેંચાણ બંધ કરવા અંગે રજૂઆત કરી હોવા છતાં બંધ થતો નથી, જેના કારણે આશાસ્પદ યુવકનું આજે મૃત્યુ થયું છે. આ મામલે ગાગોદર પોલીસ મથકે નોંધાયેલી પ્રથમીક વિગતો મુજબ 28 વર્ષીય તુલસી દેવા ગોહિલનું મરણ થયું છે, આ અંગે પરિવારે દેશી દારૂના સેવનથી મૃત્યુ થયું હોવાની નોંધ કરાવી છે. જોકે, આ અંગે પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.
'મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું', ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી
Language Dispute in Maharashtra: મહારાષ્ટ્રમાં વધતા મરાઠી ભાષાના વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર મુંબઈના મહત્ત્વને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે તોડવાની ભાષાનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ મુંબઈ ધીરે-ધીરે પોતાનું મહત્ત્વ ગુમાવી રહ્યું છે. અહીંના ઉદ્યોગ, ધંધાને ગુજરાતમાં લઈ જવાય રહ્યા છે. અહીંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પણ અહીંથી સ્થાનાંતરિત કરવાની વાત ચાલી રહી છે. ઠાકરેએ ધમકી ભર્યા અંદાજમાં કહ્યું કે, 'હું આ વાત સ્પષ્ટ રીતે કહું છું કે, જો કોઈએ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત કરી તો અમે તેના ટુકડા કરી નાખીશું.'
રાજકોટ કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચેલા આપના નેતા વિજયસિંહ જાડેજાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તત્કાલ સારવારમાં ખસેડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહને પ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ સિનર્જી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ક્ષત્રિય આગેવાનો અને આપના અગ્રણીઓ-કાર્યકરો દોડી આવ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના અગ્રણી નૈમિષભાઈ પાટડીયા અને ઇમરાનભાઈ કામદારે જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશનમાં આરોગ્ય અધિકારી અને કમિશનરને રજૂઆત કરવા જવાના હતા. ગઈકાલે દંપતીએ કોર્પોરેશનના પટાંગણમાં આરોગ્ય અધિકારી વિરુદ્ધ ધારણા કર્યા હતા તે બાબતે રજૂઆત કરવાની હતી. ત્યાં વિજયસિંહ તખતસિંહ જાડેજા (ઉં.વ. 38, રહે. નંદનવન સોસાયટી, આત્મીય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ) ત્યાં પહોંચ્યા હતા. તેઓ આવ્યા ને થોડી જ મિનિટો થઈ હશે ત્યાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર ઈમરાનભાઈ, નૈમિષભાઈ સહિતનાએ સીપીઆર આપ્યું હતું. 108માં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. માહિતી મળતા જ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને ક્ષત્રિય આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.વિજયસિંહને સિવિલ હોસ્પિટલમાંથી સિનર્જી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે હાલ તેઓ ICUમાં હોવાનું જાણવા મળ્યુ છે. એરપોર્ટ પર ટેક્સીઓ માટે લેવાતો 40નો ડ્રોપિંગ ચાર્જ રદ કરો: કેબ એસોસિએશનરાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટેક્સી પાસીંગ ગાડીઓને કોઇપણ પ્રકારની સુવિધા આપ્યા વિના એરપોર્ટ ઓથોરીટી ચાર્જ વસુલતા કેબ એસોસીએશનના સદસ્યો, ટેક્સી ડ્રાયવરોએ બે દિવસ સુધી ધરણા કર્યા બાદ ચાર્જ વસુલવા બાબતે એરપોર્ટ ડીરેકટર દિગંત બોરાહને રૂબરૂ મળી લેખીતમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ એસોશીએશન આખા ગુજરાતમાં રજીસ્ટર છે. ટેક્સી પાસીંગનો ટેકસ ભરી લીગલી ધંધો-વ્યવસાય કરીએ છીએ. દેશભરમાં એરપોર્ટમાં કોઇ એરપોર્ટ ઉપર ટેક્સી ગાડીઓ માટે ડ્રોપીંગ ચાર્જ લેવામાં આવતો નથી. એક માત્ર આપણા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રૂ. 40 ચાર્જ વસુલવામાં આવે છે.તે તાકીદે રદ કરવા અને ટેક્સી ગાડીઓ માટે 10 મીનીટ ડ્રોપીંગ ફ્રી રાખવા અને 10 મીનીટ બાદ નોમીનલ ચાર્જ રાખવા માંગણી છે. આ ઉપરાંત ટેકસી પાસીંગ ગાડીઓ માટે એરપોર્ટની અંદર મીનીમમ 15 થી 20 ગાડીઓ પાર્કિંગમાં રહી શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા કરવા, એરપોર્ટમાં ડ્રાઇવર લોન્જમાં અલીગઢી તાળા લાગ્યા છે તે ખોલી લોન્જ શરૂ કરવા માંગણી છે. આ ઉપરાંત એરપોર્ટ ઓથોરીટી દ્વારા પ્રીપેડ કાઉન્ટર શરૂ કરવું જેથી ક્રમ વાઇઝ ટેકસી ગાડીઓની કાઉન્ટર પર બુકીંગ થાય. નંબર વાઇઝ ગાડીઓને પ્રવેશ મળી શકે. ચા-પાણીની વ્યવસ્થા માટે કેન્ટીન અને કોર્નર સ્પેસ ટેબલ ખુરશી આપી તેનો ભાડા પેટે નોમીનલ ચાર્જ રાખવા સહીતની કેબ એસોસીએશન પ્રમુખ ધનરાજસિંહ ઝાલા, ઉપપ્રમુખ પિયુષ બારાઇ સહિતના સદસ્યો ટેક્સી ડ્રાઇવરોએ માંગણી ઉઠાવી છે. વોર્ડ નંબર 1 ના ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ત્રીજા દિવસે ખોરવાયુંરાજકોટને કોર્પોરેશન દ્વારા ઘણા વર્ષોથી કરોડોના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન નેટવર્કના કામ ચાલી રહ્યા છે. આ જ રીતે થોડા સમય પહેલા નવા રીંગ રોડ પર સ્માર્ટ સીટી વિસ્તારમાં નાખવામાં આવેલ નવી પાઇપલાઇનનું જોડાણ ભાંગતા વેસ્ટ ઝોનના વોર્ડ નં.1ના નવા વિસ્તારમાં જતી પાઇપલાઇનમાં સપ્લાય બંધ થઇ ગઇ છે. જેના કારણે નવા રીંગરોડ ટચ વર્ધમાનનગર, એસઆરપી કેમ્પ સાઇટ તરફના અર્ધો ડઝન વિસ્તારમાં ત્રણ દિવસથી વિતરણ ઠપ્પ થઇ જતા લોકોમાં દેકારો બોલી ગયો છે. આ રોડ પર ડીઆઇ પાઇપલાઇનમાં બીજી વખત ભંગાણ પડયું છે. જેને કારણે ત્રણ દિવસથી લોકોને પાણી મળ્યું નથી અને હવે કાલથી માંડ પાણી મળે તેવી શકયતા છે. નવા રીંગ રોડ પર સ્માર્ટ સીટી એરીયામાંથી મહાનગરમાં નવા ભળેલા ઘંટેશ્વર સહિતના વોર્ડ નં.1ના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન જાય છે. નવા વિસ્તારમાં હવે પહેલેથી ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા સ્માર્ટ સીટી એરીયામાંથી પસાર થતી આ 600 એમએમની પાઇપલાઇનનો જોઇન્ટ તુટયો હતો. તેનું રીપેરીંગ કરવા માટે બે દિવસ સપ્લાય બંધ કરવી પડી હતી. ઘંટેશ્વર એસઆરપી કેમ્પ, વર્ધમાનનગર, અંજલી પાર્ક સહિતના અર્ધો ડઝન વિસ્તારમાં પાણી બંધ રહ્યું હતું. આ બાદ ગઇકાલે સાંજે ફરી આ ભંગાણ પડતા પાણી વિતરણ બંધ જ રાખવાની ફરજ પડી હતી. આ રીપેરીંગના કારણે આજે સતત ત્રીજા દિવસે પાણી મળ્યું ન હતું. ચોમાસાની શરૂઆત અને ભારે બફારા વચ્ચે લોકો હેરાન થયા હતા. દરમ્યાન આજે આ રીપેરીંગની કામગીરી ચાલુ હતી અને સાંજે અથવા કાલે પાણી વિતરણ શરૂ થશે તેવું અધિકારીઓનુ કહેવું છે. ડીઆઇ પાઇપલાઇન નવેનવી છે. આ મેઇન ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનના લીકેજ થવાથી અધિકારીઓમાં પણ દોડધામ થઇ પડી હતી. બે દિવસથી આ રીપેરીંગ માટેના પ્રયાસો ચાલે છે. પરંતુ સ્માર્ટ સીટી લાગુ વિસ્તારમાં ત્રણ દિવસથી લોકોને પીવાનું પાણી ન મળતા કકળાટ થયો છે. 100 મકાનોના દબાણ હટાવવાની નોટિસ મળતા સ્થાનિકોની મેયરને રજૂઆતરાજકોટમાં વોર્ડ નં.4ના છેવાડે લાલપરી તળાવની આજુબાજુમાં રહેલા વર્ષો જુના 100 જેટલા મકાનોના દબાણ હટાવવા ટીપી શાખાએ નોટીસો ફટકારતા આજે આ વિસ્તારના લોકો અને પૂર્વ કોંગી કોર્પોરેટર ઠાકરશીભાઇ ગજેરા મહાપાલિકાએ લોકોના ટોળા સાથે દોડી આવ્યા હતા.મેયરને આવેદનપત્ર પાઠવી આ 100 જેટલા દબાણો હટાવવા સામે વિરોધ કર્યો હતો અને વૈકલ્પિક જગ્યા આપવા માંગણી કરી હતી. સાથે જ સામાકાંઠે પૂર્વ ઝોનમાં મોરબી રોડ અને પેડક રોડ પર ભાજપ નેતાના ગેરકાયદે બાંધકામોની ખુલ્લી ફરિયાદ પણ મેયર ચેમ્બરમાં કરી હતી.લાલપરી તળાવ આસપાસની સોસાયટીઓ ગણેશ સોસાયટી, તિરૂપતિ પાર્ક, અમૃત પાર્ક, જય જવાન, જય કિસાન મફતીયા, સૂર્યમુખી હનુમાન મફતીયાપરાના 100 જેટલા કાચા-પાકા મકાનોને તા.15ના રોજ ટીપી શાખાએ દબાણ હટાવવા નોટીસ આપી છે. જે અંગે મેયર અને કમિશનરને રજુઆત કરી હતી. મારુતિનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ આપવા મ્યુ. કમિશનરને રજૂઆતરાજકોટ વોર્ડ-1ના જામનગર હાઈવેનાં પરાપીપળીયા ગામના પાટીયા પાસે મારૂતીનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ આપવા આપ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશભાઈ જોષીની આગેવાની હેઠળ રહીશોએ મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યુ છે. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે અમારી સોસાયટીમાં 200 જેટલા મકાનોમાં લોકો વસવાસ કરે છે. હજુ સુધી રોડ, રસ્તા, ગટર, આંગણવાડીની સુવિધા નથી. બાળકો-વાલીઓને હાઈવે કોર્ષ કરી બે કિ.મી.દુર જવુ પડે છે. મહાદેવ પાર્કમાં ગંદકીના ઢગલા છે. રેસ્ટોરન્ટોનું ગંદુ પાણી નિકાલ થતા ગંદકી દુર્ગધથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા લોકોની સુખાકારી માટે પ્રાથમિક સુવિધા આપવા માંગણી કરી છે.
રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:ઓનલાઈન ગેમમાં બેંગ્લોરની યુવતીના સંપર્કમાં આવેલા યુવકનો ટોર્ચરિંગથી કંટાળી આપઘાત
દીપક ઉમેશચંદ્ર ચૌહાણ (ઉં.વ.18) બપોરના 1.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં ઈમરજન્સી વિભાગમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીપકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે દીપક હેર કટ કરાવવા માટે નજીકના સલૂનમાં ગયો હતો. વાળ સેટ કરાવી તે મિત્રો સાથે વાળંદની દુકાનમાં જ બેઠો હતો. જ્યાં તેને બેંગ્લોરની યુવતીનો કોલ આવ્યો હતો. ફોન કોલમાં વાત કર્યા બાદ વાતચીત પૂર્ણ થયા બાદ તુરંત દીપક સલુનેથી દોડીને ઘરે પહોંચ્યો હતો. સલુનમાં તેના ચપ્પલ તેમના તેમ મૂકી દીધા હતા. તે ચપ્પલ પહેરવા પણ ત્યાં ઉભો રહ્યો ન હતો. કોઈને કશું કીધા વગર સીધો ઘરે પહોંચી પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોટાભાઈએ દીપકને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો એટલે તેને તુરંત હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીપકના મોટાભાઈએ આક્ષેપ કર્યો હતો કે, પબજી ગેમથી દીપક બેંગ્લોરની કહેવાતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પછી ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરતા અને વીડિયો કોલમાં વાત કરતા. મોબાઈલ નંબરની આપ લે થતા વાતચીત કરતો હતો. યુવતી તેને ટોર્ચર કરતી હતી. દીપક યુવતીને રૂપિયા પણ મોકલતો હતો. જેથી ટોર્ચરના કારણે દીપકે પગલું ભરી દીધું હોવાનો પરિવારનો આક્ષેપ છે. હાલ પોલીસે આ મામલે હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કારખાનામાંથી કિંમતી વાસણોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈરાજકોટના 150 ફુટ રીંગ રોડ પર નાનામવા ચોક પાસેથી દિપક બાબુ દાણીધરીયા, મનસુખ ઉર્ફે દીકુ હરી પરમાર, કિશન ઉર્ફે બાઉ અરજણ ડાભી અને ચેતન કમલ સોલંકીને પકડી પાડી પીતળના, ત્રાંબાના તથા જર્મન એન્ટીક વાસણો સહિત રૂ.1.25 લાખના મુદ્દામાલ સાથે LCB ઝોન 2 ટીમે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ચારેય શખ્સોએ લક્ષ્મીનગર મેઈન રોડ પર રહેતાં એડવોકેટ ગૌતમભાઈ રાજ્યગુરૂના મકાનમાંથી પણ રોકડ અને દાગીના મળી કુલ રૂ.1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે મામલે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાની કબૂલાત પણ આરોપીએ આપી હતી. તેમજ ગઈ તા.17ના રોજ ગુંદાવાળીમાં આવેલ બંધ મકાનમાં તાળા તોડી મકાનમાં ચોરી કરવાં ગયેલ પરંતુ તેમાંથી કોઈ વસ્તુ હાથ ન લાગ્યાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે, તસ્કરો દિવસના સમયે રિક્ષામાં સવાર થઈ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભંગારની ફેરીના બહાને રેકી કરવાં નીકળતા હતાં જેમાં બંધ મકાનને ધ્યાનમાં રાખી રાત્રિના સમયે લોખંડના સળિયાથી તાળા તોડી ચોરીને અંજામ આપી નાસી છુટ્તાં હતાં. MD ડ્રગ્સ સાથે બે શખસોને ઝડપી પાડ્યારાજકોટની સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રિજ ચડતા પહેલા જાહેરમાં માદકપદાર્થ મેફેડ્રોન (એમ.ડી)ના જથ્થા સાથે બે શખ્સો ઉભેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડી અલ્પેશ રમેશ તન્ના (ઉ.વ.32) અને અહેમદ યાકુબ જેસાણી (ઉ.વ.37)ને પકડી પાડી તેની પાસેથી 16.49 ગ્રામ એમડી રૂ.1.64 લાખનો જથ્થો અને એક્ટિવા બાઈક સહિત રૂ.2.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અલ્પેશ તન્ના જૂનો પેડલર છે અને તે નવ મહિના પહેલાં 150 ગ્રામ એમડી સાથે પકડાયો હતો અને અઢી મહિના પહેલાં જ તે ખેડા જેલમાંથી છૂટ્યો હતો. તેમજ પડધરીનો અહેમદ બંધાણી હોય અને તે અલ્પેશનો મિત્ર હોય જેથી બંનેએ મોરબીના શખ્સ પાસેથી એમડી મંગાવ્યું હતું. જે ડ્રગ્સ મોરબીનો શખ્સ પડધરીના અહેમદને આપી ગયો હતો. જે અહીં અલ્પેશને આપવા માટે આવ્યો ત્યારે બંને રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. મહિલાની પતિ સામે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદભૂમિકાબેન નાગ્રેચાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દીકરી સાથે તેના પિતાના ઘરે છેલ્લા 10 વર્ષથી રહે છે. વર્ષ 2015થી તેણી પતિથી અલગ રહે છે. તેમના લગ્ન તા.31.01.2009ના રાજકોટના હીતેશભાઇ હર્ષદભાઈ નાગ્રેચા સાથે થયેલ અને લગ્ન બાદ તેણી પતિના ઘરે શીવગંગા હરીધામ સોસાયટી રૈયા રોડ ખાતે રહેતી હતી. તેમના પતિ લગ્નના પાંચ વર્ષ બાદ માનસીક હેરાન પરેશાન કરતા જેથી વર્ષ 2015માં રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ વીરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. ગઇ તા.13 ના રવિવારના તેણી અને તેનો ભાઇ કાર લઇને અમદાવાદથી પરત રાજકોટ આવેલ ત્યારે સાંજના હરીધામ સોસાયટી અલ્કાપુરી મેઇન રોડથી ન્યુએરા સ્કુલની બાજુમા રૈયા રોડ પાસે પહોચતા તેના પતિએ કાર આગળ તેની એક્ટિવા રાખી કારને ઉભી રાખવાનુ કહ્યું જેથી કાર ઉભી રાખી હતી. જે બાદ પતિએ કહ્યું કે, તે મારા ઉપર કર્યા કેસમાં જો સમાધાન નહી કર તો તને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપેલ હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મહિલાની ફોટા વાઈરલ કરનાર પૂર્વ પતિ સામે ફરિયાદ34 વર્ષીય મહિલાએ તેના પૂર્વ પતિ સામે ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદમાં તેને જણાવ્યું હતું કે તેના લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ ન હોય જેથી છુટાછેડાનો કેસ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ મહિલાના ઈન્સ્ટાગ્રામ મારફતે તેના જુના પ્રેમીના ફોટા મેળવી મહિલાના સગ્ગા સબંધી તેમજ પરીચીતોના ફોટા બતાવી તેમજ વ્હોટ્સએપમાં ફોટા વાયરલ કર્યા હતાં. જે તેના પરીચીતો તેમજ તેના પરીવારજનો મારફતે જાણવા મળતા તેને તપાસ કરી ફરીયાદ કરી હતી. બનાવને પગલે સાયબર ક્રાઇમ પીઆઈ બીબી જાડેજા અને ટીમે આરોપીને પકડી પૂછતાછ કરતાં તેને કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી તે પરત ખેંચવા માટે અવાર નવાર ઝઘડાઓ કરતો હોય બાદમાં આ કૃત્ય આચર્યાનું કબૂલાત આપી હતી.
વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં આજે વધુ એક બ્રેનડેડ દર્દીના અંગોનું દાન પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગદાનમાં લીવર, બે કિડની અને નેત્રોનું દાન કરવામાં આવ્યું છે. જેને લઈ અન્ય પાંચ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાયો છે. રાજપીપળા ખાતે રહેતા 35 વર્ષીય શ્રમજીવી પરિવારના સતીશ શાંતિલાલ વસાવાને તાજેતરમાં બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. રાજપીપળામાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને SICUમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તબીબોએ સતીશને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. તબીબોએ પરિવારજનોને અંગદાન વિશે સમજાવતાં, શ્રમજીવી પરિવારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવા અંગદાન માટે સંમતિ આપી હતી. હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક અમદાવાદ અને ગાંધીનગરની અંગદાન કમિટીનો સંપર્ક કર્યો હતો. અમદાવાદની એપોલો હોસ્પિટલની નિષ્ણાત ટીમે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી, D-OTમાં અંગદાનની પ્રક્રિયા હાથ ધરી હતી. સતીશના લીવર, બે કિડની અને નેત્રોનું દાન લઈ ટીમ અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે રવાના થઈ હતી. શ્રમજીવી પરિવારે પોતાના સ્વજનના મૃત્યુનું દુઃખ અંગદાન દ્વારા ભૂલાવ્યું અને જણાવ્યું કે, “જો આ અંગદાનથી કોઈનું જીવન બચે તો તેનાથી ઉત્તમ બીજું કાંઈ નથી.” આમ, તેમણે અંગદાનની ઉમદા લાગણી વ્યક્ત કરી હતી.
સુરતના નાની વેડની 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમાં સંડોવાયેલા કિશોર સામે સેશન્સ કોર્ટમાં પુખ્ત વયના કાયદા હેઠળ કેસ ચલાવવા સંબંધિત પીઆઈ વાય. બી. ગોહિલે કરેલી અરજી પર આજે જુવેનાઇલ કોર્ટમાં દલીલો હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ અને PIએ જણાવ્યું હતું કે આ અત્યંત ગંભીર ગુનો હોવાથી કિશોર સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 15 હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે. આગામી મંગળવારે બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ દલીલો રજૂ કરશેPIએ આજે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી કિશોરની ઉંમર 17 વર્ષ 11 મહિના અને 23 દિવસ છે. તેણે યુવતીને હેરાન-પરેશાન કરી, પીછો કરી, અને ગેરસંબંધ રાખવા બળજબરી કરી હતી. એટલું જ નહીં, ફોન કરીને ફરિયાદીની દીકરીને બિભત્સ ગાળો પણ આપી હતી. આ અસહ્ય ત્રાસના કારણે ભોગ બનનારને આત્મહત્યા કરવા મજબૂર કરવી એ ગંભીર ગુનો છે. PIએ વધુમાં જણાવ્યું હતું કે કિશોરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેના વિચારો અને રહેણીકરણી પુખ્ત વ્યક્તિ જેવી જ છે. તેથી તેને પુખ્ત ગણીને કેસ ચલાવવામાં આવે. મૂળ ફરિયાદી તરફેના વકીલ પિયુષ માંગુકિયાએ જણાવ્યું હતું કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 15ની જોગવાઈ 16 થી 18 વર્ષના બાળક દ્વારા કરાયેલા ગંભીર ગુનાના કિસ્સામાં પ્રારંભિક મૂલ્યાંકનનો અધિકાર આપે છે. ગંભીર ગુનામાં એવી સજા હોય છે જે સાત વર્ષ કે તેથી વધુ હોય, જેમ કે હત્યા, બળાત્કાર, આતંકવાદ વગેરે. આ પ્રક્રિયામાં ત્રણ તબક્કે ચકાસણી થાય છે: * ઉંમરના પ્રમાણિત દસ્તાવેજોની ચકાસણી: કિશોર આરોપીની ઉંમરના પ્રમાણિત દસ્તાવેજો તપાસવામાં આવે છે. * માનસિક પરિપક્વતા અને ગુનાને સમજવાની ક્ષમતા: આરોપીની માનસિક પરિપક્વતાનું સ્તર, ગુનાને સમજવાની ક્ષમતા અને તેની સામાજિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. * નિષ્ણાત અહેવાલો: એડવોકેટ રહીમ શેખના જણાવ્યા અનુસાર, આ માટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) વિવિધ સામાજિક વલણ રિપોર્ટ્સ, મનોવૈજ્ઞાનિક દ્વારા મનોવૈજ્ઞાનિક રિપોર્ટ અને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરનો અહેવાલ મેળવે છે.જો બોર્ડ એવું માને કે આરોપીને ગુનાની સમજ હતી અને તે પરિપક્વ છે, તો કેસ સેશન્સ અથવા ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્ત તરીકે ચલાવવામાં આવે છે. આ જોગવાઈ કાયદામાં સ્પષ્ટ રીતે દર્શાવેલી છે.
ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ગેરકાયદે દબાણોને લઈને ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરીને અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સોલા વિસ્તારમાં ચાણક્યપુરી રોડ ઉપર દબાણો દૂર કરવાની અને રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અને ઉત્તર પશ્ચિમના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચાણક્યપુરીના મુખ્ય રોડ ઉપર લારી- ગલ્લા, પરચુરણ સામાન સહિતના અલગ અલગ સામાનના બાળો રોડ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક વાહનો રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જજીસ બંગલો ચાર રસ્તા થી પકવાન ચાર રસ્તા સુધી પણ દબાણની ડ્રાઇવ દૂર કરવામાં આવી હતી. 10થી વધુ લારીઓ, પરચુરણ સામાન સહિતની ચીજ વસ્તુઓ એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા બિનોરી કટ નજીક રોંગ સાઈડથી આવનારા વાહન ચાલકો વિરુદ્ધ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટમાં પત્ની પીડિત પતિનો બનાવ સામે આવ્યો છે. શહેરનાં ભીલવાસમાં રહેતા અને ઓરકેસ્ટ્રામાં કામ કરતા પારસ પરસોતમભાઇ વાઘેલા (ઉ.વ.40) નવી કોર્ટથી ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં તેની પત્નીએ આંતરી ગાળો આપી અને એક્ટિવાને પાટુ મારતા પારસભાઈનું એક્ટિવા સ્લિપ થયું હતું અને તેમને ઇજા પહોંચી હતી. જેથી તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાં પણ તેની પત્ની અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પત્નીએ પીછો કરી પતિને એક્ટિવા સમેત પછાડ્યોફરિયાદી પારસભાઈએ જણાવ્યુ હતું કે, તેમની પત્નીને તેમની સાથે બનતું ન હોય જેથી દોઢેક વર્ષ પહેલાં ઘરેથી અલગ રહેવા જતા રહેલી અને સાથે દીકરો પણ લેતી ગઈ હતી. દીકરો પરત મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો જે કેસ તેઓ જીતી જતાં દીકરાનો કબ્જો તેમને મળ્યો છે. ત્યાર બાદ પત્નીએ કોર્ટમાં છુટાછેડાનો કેસ કર્યો હતો અને તે કેસ હાલ કોર્ટમાં ચાલું છે. ગઈ તા. 16ના બપોરના તે એક્ટિવા લઇને નવી કોર્ટથી ઘરે આવતા હતા, ત્યારે રસ્તામાં માધાપર ચોકડીના પુલ ઉપર પહોંચતા પત્ની તેનું બાઈક લઇને પાછળ પાછળ આવી કહ્યું કે, તું કેમ કોર્ટમાં આવ્યો તો અહીં ઉભો રે એમ કહી ગાળો આપવા લાગી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી એક્ટિવા ભગાડી નીકળી ગયા અને રસ્તામાં જામનગર રોડ વાકાંનેર સોસાયટી પાસે પહોચતાં તેમની પત્ની પાછળ પાછળ આવતી હતી અને તેણે એક્ટિવાને પાટુ મારતા એક્ટિવા સ્લીપ થઇ જતા ફરિયાદી એક્ટિવા સહીત નીચે પડી જતાં શરીરે ઇજા થઈ હતી તેમજ પત્ની ત્યાંથી જતી રહી હતી. અજાણ્યા શખ્સો સાથે હોસ્પિટલ ધસી આવી ધમકી આપીબાદમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ગયા અને ત્યાં ટ્રોમા સેન્ટરમાં સારવાર લેતા હતા, ત્યારે બપોરના ત્યાં પત્ની તથા તેની સાથેના બીજા ત્રણેક અજાણ્યા માણસો આવ્યા હતા. જેમાંથી એક વ્યકતિએ છરી બતાવી અને કહ્યું કે, તું કેમ તારી પત્નીને હેરાન કરે છે. તેમજ તેની સાથે ત્રણેક અજાણ્યા શખ્સો ઘરે આવ્યા તેમ પાડોશીએ જણાવ્યું હતું. જે મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં વન્યજીવનનું અદભુત દૃશ્ય જોવા મળ્યું છે. વેરાવળના મંડોર-ભેરાળા ગામ પાસેના રોડ પર સિંહ અને સિંહણની જોડી એક સાથે રસ્તો ક્રોસ કરતી જોવા મળી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ સલામતીના કારણે પોતાના વાહનો થોભાવી દીધા હતા. સિંહ-સિંહણની આ રોયલ લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, ગીર જંગલમાં મચ્છરોના ઉપદ્રવને કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને વન્યપ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે. સાથે જ વાહનચાલકોને પણ આવા સમયે વાહન ધીમું કરી દેવા અને સિંહોને શાંતિથી પસાર થવા દેવા સૂચના આપવામાં આવી છે.
અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખેડૂત વૃદ્ધ દંપતી ગામમાં એકલા રહેતા હતા. લૂંટના ઈરાદે તેઓની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. ગામમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી છે. દંપતીના સંતાન સુરત અને રાજકોટ રહે છેવડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ચરૂભાઈ રાખોલિયા ઉંમર 70 વર્ષ તેમજ કુંવરબેન ચરૂભાઇ ઉંમર 70 વર્ષ એકલા રહેતા હતા. જેઓના સંતાન સુરત અને રાજકોટમાં રહે છે. જ્યારે આ દંપતી ગામમાં એકલા રહેતા હોય તેઓની હત્યા કરવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો તપાસમાં કામે લાગીઆ ઘટનાને પગલે DYSP ચિરાગ દેસાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હત્યા કરાયેલા સ્થળે કોઈ ચીજવસ્તુની લૂંટ થઈ છે કે કેમ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડબલ મર્ડરની ઘટના હોય ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
વડોદરા કોર્પોરેશનમાં આજે મળેલી સામાન્ય સભામાં વડોદરા કોર્પોરેશનને પ્રોમિસિંગ કેટેગરીમાં મળેલા 18 માં નંબરની કોઇ નોંધ ન લેવાતાં કોર્પોરેશનમા ભાજપમાં ચાલતી જૂથબંધી સ્પષ્ટ જણાઇ આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2024 તા. 17 જુલાઈના રોજ દિલ્હી ખાતે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરાને પ્રોમિસિંગ કેટેગરીમાં 18 મો નંબર મળ્યો છે. આ એવોર્ડ લેવા માટે મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, ચિફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ગયા હતા. વડોદરા કોર્પોરેશનને પ્રોમિસિંગ કેટેગરીમાં મળેલા એવોર્ડનું મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી સહિતના એવોર્ડ લેવા માટે ગયેલા અધિકારીઓ અને પદાધિકારીઓએ ગૌરવ લીધું હતું. જોકે, આજની સભામાં એવોર્ડ લઇને પરત ફરેલા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી હાજર રહ્યા હતાં. પરંતુ, સત્તાપક્ષ ભાજપના એક પણ કાઉન્સિલરે વડોદરાને પ્રોમિસીગ કેટેગરીમાં મળેલા એવોર્ડની નોંધ શુધ્ધા લીધી ન હતી અને સત્તાપક્ષના વહિવટનું ગૌરવ પણ લીધું ન હતું. વડોદરાને મળેલા આ એવોર્ડનો ભાજપ કાઉન્સિલરોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં વડોદરાને સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલા પ્રોમિસિંગ એવોર્ડની કોઈ નોંધ સત્તા પક્ષના કાઉન્સિલરો દ્વારા લેવામાં આવી ન હતી. એક માત્ર ભાજપ કાઉન્સિલર મનિષ પગારેએ ચેરમેનને હળવેથી શુભેચ્છા પાઠવી સ્મશાન બાબતે ચાલતા વિવાદમાં જોડાઇ ગયા હતા. નોંધનીય છે કે, સામાન્ય બાબતોમાં ગૌરવ અનુભવમાં અચૂક અગ્રેસર રહેતા એવા સત્તાપક્ષ ભાજપ દ્વારા સભાગૃહમાં એવોર્ડ અંગેની કોઈ ચર્ચા કરવામાં ન આવતા કે શુભેચ્છાઓ આપવામાં ન આવતા ભાજપમાં કેટલી હદે જૂથબંધી ચાલી રહી છે તે સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. આજની સભામાં સત્તાપક્ષ દ્વારા એવોર્ડ અંગે કોઇ નોંધ ન લેવાતાં શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
અમદાવાદમાં નશાના કાળા કારોબાર પર વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે તા. 17 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અમદાવાદના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ એર એશિયાની ફ્લાઇટ નંબર FD-144 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ) થી અમદાવાદ આવ્યો હતો. 6.39 કિલોગ્રામ પ્રતિબંધિત માલ જપ્ત કરાયોAIU અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેમના સામાનમાંથી લીલાશ પડતા ગઠ્ઠાવાળા પદાર્થના 24 એર ટાઇટ પેકેટ મળી આવ્યા હતા. આ પદાર્થનું તાત્કાલિક તપાસ કરાતા મારિજુઆના (ગાંજો) હોવાનું સામે આવ્યું હતું. અત્યારે કુલ 6.39 કિલોગ્રામ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિની ધરપકડ કરાઈઆ મામલે જપ્ત કરાયેલા પ્રતિબંધિત માલ NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ અનુસાર કબજે લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશન નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં AIU અમદાવાદ સફળ રહ્યું હતું.
સાળંગપુર ત્રણ રસ્તા પર આખલાની લડાઈ:બરવાળા-અમદાવાદ હાઈવે પર વાહનચાલકો અને રાહદારીઓમાં ભય
સાળંગપુર ત્રણ રસ્તા T પોઈન્ટ પર આજે બે આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ. બરવાળા-અમદાવાદ હાઈવેની વચ્ચોવચ્ચ બે આખલાઓ એકબીજા સાથે બાખડી પડ્યા. આ ઘટનાથી આસપાસથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો. જાહેર હાઈવે પર આખલાઓનું મુક્તપણે વિચરણ ચિંતાજનક બાબત છે. આ ઘટના સ્થાનિક વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની છે. સ્થાનિક લોકોએ રાહદારીઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. આખલાઓના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્યમાં 149 નગરપાલિકામાંથી 147 પાસે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી છે. જેમાં 89એ થર્ડ પાર્ટી એગ્રિમેન્ટ કર્યો છે. 17 મહાનગરપાલિકાઓમાંથી રાજકોટ સિવાય બધા પાસે પૂરતી વ્યવસ્થા છે. હાઈકોર્ટ સમક્ષ આજે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયો હતો. હાઇકોર્ટમાં પણ લોકો કચરો નાખી જાય છે, ચાલો મારી સાથે તમને બતાવુંસુનાવણીની શરૂઆતમાં અરજદારે ગઈકાલે દ્વારકા મંદિરથી 50 મીટર દૂર કચરાનો ઢગલો હોવાનો ફોટો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, કોર્ટે ટકોર કરી હતી કે લોકો પોલીથીન વાપરે છે, જ્યાં ત્યાં ફેંકે છે પછી બીજા તેને ઉપાડીને રિસાયકલ કરે છે, આમાં નાગરિકોની જવાબદારી શું? હાઇકોર્ટમાં પણ લોકો કચરો નાખી જાય છે. ચાલો મારી સાથે તમને બતાવું, મારી સગી આંખે આ દૃશ્ય જોયું છે. કચરો ફેંકનારા લોકો પર કેવી રીતે પગલા લેવાય તે કહો? રાજ્યમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ માટે સૂચનો આપો. હાઈકોર્ટના ગેટ બહાર પણ નહીં લોકો હેલ્મેટ પહેરતા નથી!કોર્ટના નિર્દેશ છત્તા હેલ્મેટ કેટલા લોકો પહેરે છે? હાઈકોર્ટના ગેટ બહાર પણ નહીં લોકો હેલ્મેટ પહેરતા નથી! વર્ષ 1994-95 માં હેલ્મેટ ફરજિયાત કરાતા, એડવોકેટ એસોસિએશન વિરોધમાં ગયું હતું. કોર્ટ પોલિસિંગ કરી શકે નહીં, લોકો દંડ ભરી દે છે, નિયમો પાળતા નથી. નાગરિકો તેમના જીવ માટે જાગરૂક બને, બધુ જાદુઈ છડીથી થઈ જતું નથી. 88 નગરપાલિકાને GPCBએ નોટિસ પાઠવીસરકારી વકીલે જણાવ્યું હતું કે, 91 મહાનગરપાલિકાનું ઇન્સ્પેક્શન GPCB દ્વારા કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની કેપેસિટી અને ભવિષ્યની જરૂરિયાત ઉપર ધ્યાન અપાયું છે. 88 નગરપાલિકાને નિયમો ન પાળવા બદલ શો કોઝ નોટિસ અપાઈ છે. 65 નગરપાલિકા MRF ફેસિલિટી ઇન્સ્ટોલ કરી છે, 32 એ MOU કર્યા છે. 65માંથી 39 મેન્યુઅલી ઓપરેટેડ અને 21 મિકેનિકલ છે. 5 નગરપાલિકા પાસે બંને વિકલ્પ છે. 28 નગરપાલિકાએ MRF ઇન્સ્ટોલ નથી કરી. 3મા અંડર કન્સ્ટરક્શન છે. એક નગરપાલિકાએ પ્રાઇવેટ ટાઇઅપ કર્યું છે. 25 નગરપાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટ જનરેશનની માહિતી આપી નથી. 59એ રજિસ્ટર્ડ સંસ્થા સાથે MOU કર્યા નથી. રજિસ્ટર્ડ પાલ્સ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા સાથે MOU નહીં કરવા બદલ અને MRF ફેસિલિટી નહીં હોવા બદલ 88 નગરપાલિકાને GPCBએ નોટિસ પાઠવી છે. પ્લાસ્ટિક બોટલ પરત લેવા માટે રાજ્યમાં 24 મશીન લગાવ્યાGPCBએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં 289 ક્લૉથ બેગ વેન્ડિંગ મશીન લગાવાયા છે. જેમાંથી 1 લાખથી વધુ કપડાની થેલીઓ વેચાઈ છે. પ્લાસ્ટિક બોટલ પરત લેવા માટે રાજ્યમાં 24 મશીન લગાવ્યા છે. 1.62 લાખ પ્લાસ્ટિક બોટલ તેનાથી કલેક્ટ કરાઈ છે. જેનું વજન 3 હજાર કિલો થાય છે. બોટલ વેડિંગ મશીન અને ક્લોથ બેગ મશીન વેજિટેબલ માર્કેટ, મંડળી અને અમૂલ પાર્લર જેવી જગ્યાએ મુકાયા છે. તેમાં કોઇન નાખતા અને UPIથી પેમેન્ટ કરતા કપડાની થેલી મળે છે. એક મશીનમાં 1 હજાર બેગ આવે છે. તેનો ઉપયોગ રોડ બનાવવા કરી શકાય છે. નગરપાલિકાના માટે ચીફ ઓફિસરને જવાબદાર બનાવોહાઇકોર્ટે સલાહ આપી હતી કે, મોટા શહેરો અને યાત્રાળુ સ્થાનોએ આવા મશીન લગાવવા જોઈએ. પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ ના થયા તેના જે તે નગરપાલિકાના માટે ચીફ ઓફિસરને જવાબદાર બનાવો. આગામી સુનાવણીમાં GPCB અને સ્ટેટ મોનિટરિંગ કમિટી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટી માટે એફિડેવિટ ફાઇલ કરશે, ઉપરાંત પ્રો એક્ટિવ સ્ટેપ શું લીધા તે પણ જણાવશે. અગાઉ કોર્ટમાં ચર્ચા થઈ હતી કે, બેગ વેન્ડિંગ મશીન વિવિધ સ્થળોએ લગાવવામાં આવી છે. જેમાં મોલ્સ, હોસ્પિટલ્સ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરેનો સમાવેશ છે, પરંતુ આ મશીન્સ દેખાય એવી રીતે મુકવામાં આવે. તે સિવાય અંબાજી, ગિરનાર, ગીર-સોમનાથ, દ્વારકા જેવા પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મૂકવામાં આવે. આવા મશીનો હશે તો પ્લાસ્ટિકના પ્રદૂષણનું ડિસ્પોઝલ યોગ્ય રીતે થઇ શકશે. બે મનપાને મેન્યુઅલથી મિકેનિકલ ફેસિલિટી તરફ વળવા સૂચનાઆ કેસમાં અગાઉ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે GPCBને પુરતી સુવિધાઓ ચકાસવા અને જવાબ રજૂ કરવાના નિર્દેશ હાઇકોર્ટે આપ્યા હતા. જે મુજબ GPCB દ્વારા વિવિધ મુદ્દાઓ સહિતની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. ત્યારે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેની વ્યવસ્થાઓ પુરતી અને ગુણવત્તા સભર છે કે કેમ તેની ચકાસણી થવી પણ જરૂરી છે. બીજી તરફ રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યની જૂની 8 મનપામાં MRF (મટિરિઅલ્સ રિકવરી ફેસિલિટી) ઉપલબ્ધ છે. 6 મનપામાં મિકેનિકલ અને 2 મનપામાં મેન્યુઅલ ચાલે છે. તેથી બે મનપાને મેન્યુઅલથી મિકેનિકલ ફેસિલિટી તરફ વળવાની સૂચના આપી દેવાઇ છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ સંસ્થાઓ જોડે પુરતી નાણાકીય વ્યવસ્થા છે કે કેમ તે પણ ચકાસવું જોઇએ. રાજ્ય સરકારે તેમને મદદરૂપ થવું જોઇએ. સરકારના ભંડોળ ઉપર જ તમારે નિર્ભર રહેવું જોઇએ નહીંકેસની સુનાવણી દરમિયાન ઓખા નગરપાલિકા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, મટિરિઅલ્સ રિકવરી ફેસિલિટીનું બાંધકામ થઇ ગયું છે. પ્રોજેક્ટ રિપોર્ટ ફાઇલ થઇ ગયો છે. ટેકનિકલ સેંક્શન પણ મળી ગયું છે અને એકવાર નગરપાલિકાને ફંડ મળી જશે તો તેઓ મશીનો વસાવી લેશે. હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે આ બધું પૂર્ણ કરી સિસ્ટમ ચાલુ કરવામાં કેટલો સમય લાગશે? ત્યારે નગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર પાસેથી જરૂરી ભંડોળ મળી જાય એટલે સમગ્ર સિસ્ટમ ચાલુ થઇ જશે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, ઓખા નગરપાલિકા તો એક સમૃદ્ધ નગરપાલિકા હોવી જોઇએ. ઓખા અને બેટ દ્વારકા બંને વિસ્તારો વિકસીત થઇ રહ્યા છે. તમે ટેક્સ યોગ્ય રીતે નહીં લેતાં હોવ. સરકારના ભંડોળ ઉપર જ તમારે નિર્ભર રહેવું જોઇએ નહીં. સરકાર પણ ઓખા નગરપાલિકાની વિનંતી ઉપર ધ્યાન આપે. મનપા અને ન.પા.માં પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે?આ કેસમાં મૂળ ગિરનાર પર્વત પરના મંદિરો ખાતે પ્લાસ્ટિક વેસ્ટ અને ગંદકી મામલે જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે. તેમજ ત્યાં કેવા પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ છે, તેની ઉપર સુનાવણી ચાલી રહી છે. જે કેસમાં હાઇકોર્ટે દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં જરૂરિયાત મુજબની સુવિધાઓ છે કે કેમ અને તે યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસવા GPCBને નિર્દેશ આપ્યા હતા.
બોટાદ જિલ્લાના હડદડ ગામે માનવસેવા અધિકાર અને જય માંધાતા ગ્રુપ બોટાદના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૧૮ જુલાઈના રોજ બપોરે ઓમ કોટેક્ષ જીન, કાનીયાડ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હડદડ ગામના ચૂંટાયેલા સભ્યો અને સરપંચનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત, માનવસેવાના ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ આયોગની ટીમે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આયોજકો દ્વારા આયોગની ટીમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન ટીમે જ્વેલર્સની દુકાનમાં દોઢ ફૂટનું બાકોરું પાડી ચોરી કરી નાસી છૂટતી એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓને 1,40,750ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જેમાં ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ છે. આ કાર્યવાહીથી પાંડેસરા અને ગાંધીધામના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ થયો છે. જય અંબે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતુંક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓની સઘન પૂછપરછ કરતા ચોરીની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો. આરોપી નંદુ ડામર અને દીવાન ગામડ (રહે. બમરોલી ખાડી કિનારે આવેલી ઝુપડપટ્ટી, પાંડેસરા, સુરત) એ જય અંબે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓએ વડોદરા જઈ તેમના મિત્ર મુકેશ દોડીયારને મળ્યા હતા. જ્વેલર્સની પાછળની દિવાલમાં દોઢ ફૂટનું બાકોરું પાડી ચોરી કરીમુકેશે રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર મનરાજનો સંપર્ક કર્યો અને તેને સુરત ચોરી અંગે જાણ કરી હતી. મનરાજ તેના બીજા 4 સાગરીતો સાથે વડોદરા આવ્યો અને નંદુ ડામર, દીવાન ગામડ, મનરાજ અને તેના સાથીદારો સાથે મળી સુરતમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. તેઓએ જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં દોઢ ફૂટનું બાકોરું પાડી ચોરી કરી હતી. ચોરેલા દાગીના તેઓએ સરખે હિસ્સે વહેંચી લીધા હતા. અગાઉ અંજારમાં પણ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતીઆ ઉપરાંત નંદુ ડામર અને દીવાન ગામડે અગાઉ ગાંધીધામ અંજાર ખાતે મજુરી કામ કરી ચૂક્યા હોવાથી તેઓએ ત્યાં પણ ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. અંજારના શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાં પતરા તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરેલા દાગીના તેઓ વડોદરા ખાતે મુકેશ દોડીયારના ઘરે મુકી આવ્યા હતા. આ દાગીના વેચવા માટે ત્રણેય આરોપીઓ સુરત ખાતે ભેગા થયા હતા ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપી પાડ્યાક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા લંબે હનુમાન ગળનાળા પાસેથી આરોપીઓ (1) નંદુ લુણા ડામર (ઉ.વ. 36), (2) દિવાન ધુલેસિંઘ ગામડ (ઉ.વ. 25), અને (3) મુકેશ કાલુ દોડીયાર (ઉ.વ. 32) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશના મૂળ વતની છે. આરોપીઓના કબજામાંથી કુલ 1,40,750 ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1,12,500ના સોના-ચાંદીના દાગીના, 17,000ના 4 મોબાઇલ ફોન, 10,000નો ઇલેક્ટ્રિક વજન કાંટો, 1,000ની ગેસ કટરની પાઇપ, અને રૂપિયા 250નો 1 કોયતો તેમજ 2 બેગનો સમાવેશ થાય છે. બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયોઆરોપીઓના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ પૈકી, 48,460/- ની કિંમતના ચાંદીના દાગીના દસેક દિવસ પહેલાં પાંડેસરા, તેરેનામ રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવ્યા હોવાનું કબૂલ્યું છે. જ્યારે 64,040/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના એક અઠવાડિયા પહેલાં ગાંધીધામ અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાંથી પતરું તોડી ચોરી કરવામાં આવ્યા હોવાનું કબૂલવામાં આવ્યું છે. આ રીતે, ક્રાઇમ બ્રાંચે કુલ 1,12,500 ની કિંમતના મુદ્દામાલ સાથે નીચે મુજબના બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી નંદુ લુણા ડામરનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલા આરોપી નંદુ લુણા ડામરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં મધ્યપ્રદેશના પેટલાવદ અને ખાચરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે, જેમ કે, પેટલાવદ પોલીસ સ્ટેશનમાં કુલ 9 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રાયટિંગ, મારામારી, લૂંટ, હત્યા, અપહરણ, મારામાર શામેલ છે.
મોરબી મહાનગરપાલિકાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસા દરમિયાન ઉદ્ભવેલા લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ અને ગટર જેવી સમસ્યાઓના નિરાકરણની સમીક્ષા કરવામાં આવી હતી. ગટરની સમસ્યાના ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી બે જેટિંગ મશીન મેળવવામાં આવ્યા છે. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે શહેરના ત્રણ બગીચાઓનું નવીનીકરણ કરવામાં આવશે. પાનેલી તળાવમાંથી સામાકાંઠા વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે આગામી માસમાં વરસાદ ન હોય તો રોડના કામો શરૂ કરવામાં આવશે. મહેન્દ્રનગર ચોકડી પાસે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે લોકોને વધુ લાભદાયી સાબિત થશે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષના બિલ્ડરે માત્ર 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીને સલાડ કાપવાના બહાને રસોડામાં મોકલી બિલ્ડરે પાછળથી અંદર પહોંચી જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવતા તેઓએ આ મામલે બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરોલીમાં પરિણીતાએ બિલ્ડર સામે ફરિયાદ નોંધાવીમળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાની 16 વર્ષની દીકરીને કાપોદ્રા વિસ્તારમાં આવેલી મમતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોર ડાયાણીએ પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી પરિણીતાએ બિલ્ડર કિશોર ડાયાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. 16 વર્ષની કિશોરીને સલાડ કાપવા રસોડામાં મોકલીગત 12 જૂનના રોજ સાંજે પરિણીતાની દીકરી અને તેની બહેનપણી નાસ્તો લેવા માટે ગયા હતા. આ સમયે અમરોલી શ્રીરામ ચોકડી પાસે કિશોર ડાયાણી મળી ગયો હતો. જે કિશોરીની બહેનપણીને ઓળખતો હતો. જેથી કિશોર ડાયાણીએ બંને બહેનપણીઓને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે જણાવ્યું હતું. જેથી બંને તૈયાર થતા તેઓ ફાર્મ હાઉસમાં ગયા હતા. જોકે ત્યાં કિશોર ડાયાણી તથા બહેનપણીઓએ પાર્ટી કર્યા બાદ કિશોર ડાયાણીએ 16 વર્ષની કિશોરીને સલાડ કાપવાને માટે રસોડામાં મોકલી હતી. જ્યારે તેની બહેનપણી ફાર્મ હાઉસમાં નીચે બેઠી હતી. બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યોકિશોરી સલાડ કાપવા માટે રસોડામાં જતા જ કિશોર ડાયાણી પાછળથી તેની પાસે પહોંચી ગયો હતો અને તેને પકડી લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેની માતાને જણાવી હતી. જેથી તેઓએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર કિશોર ડાયાણી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગના મિલન ધોધમાં કરુણાંતિકા:તાપી જિલ્લાના રામપુરા ગામના બે યુવકો ડૂબ્યા, શોધખોળ ચાલું
ડાંગ જિલ્લાના ખાતળ માછળી ગામ નજીક આવેલા મિલન ધોધમાં બે યુવકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. ડૂબી જનાર બંને યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના રહેવાસી છે. એકની ઉંમર 20 અને બીજાની 25 યુવકોની ઓળખ મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉમર 20) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉમર 25) તરીકે થઈ છે. ધોધ નજીક પાણી ઊંડું અને ડહોળું હોવાથી યુવકોની શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. ગામલોકોના સહયોગથી બંને યુવકોની શોધખોળ ચાલુ છે. પ્રતિબંધ છતાં ન્હાવા પડ્યાં હતાડાંગ વહીવટી તંત્ર દ્વારા મિલન ધોધમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પ્રવાસીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને ધોધમાં નાહવા પડે છે, જે જોખમી સાબિત થઈ રહ્યું છે. અગાઉ ભેગું ધોધમાં ફસાયા હતા કેટલાક લોકોડાંગ જિલ્લામાં નદીઓ અને ધોધ નજીક જવા તેમજ તેમાં ન્હાવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં કેટલાક પ્રવાસીઓ બેજવાબદારીપૂર્વક આ નિયમોનો ભંગ કરી રહ્યા છે. ચાલુ મહિનાની 7 જુલાઈના રોજ કોષમાળ ગામે આવેલા ભેગું ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં કેટલાક પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડીને પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં પ્રવાસીઓ દ્વારા ધોધની નીચે જવાનું જોખમ ઉઠાવવામાં આવી રહ્યું છે, જે આવી જોખમી પરિસ્થિતિઓ સર્જી શકે છે.
ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃતકોના પરિજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડ રૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટ્રસ્ટનું નામ 'AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ' રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમાં નોંધાયેલું છે. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેએ આ ટ્રસ્ટમાં 250-250 કરોડનું યોગદાન આપશે. આ ફંડમાંથી મૃતકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, લાંબા સમય સુધી સહયોગ કરવામાં આવશે. આ સાથે, અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ(અતુલ્યમ)નું સમારકામ અને રિનોવેશન કરવામાં પણ મદદ કરશે. આરોગ્યકર્મીઓને ટ્રોમામાંથી બહાર લાવવામાં મદદ કરશેટાટા સન્સે જણાવ્યું કે, ટ્રસ્ટનો હેતુ મૃતકોના આશ્રિતો, ઘાયલો તેમજ અન્ય પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપથી પ્રભાવિત વ્યક્તિઓને મદદ કરવાનો છે. દુર્ઘટના બાદ મેડિકલ ઇમર્જન્સી સમયે કામ કરનારા આરોગ્યકર્મીઓ તથા રાહતકાર્યમાં લાગેલા લોકોને ટ્રોમામાંથી બહાર લાવવામાં પણ મદદ કરશે. પ્લેન ક્રેશ પછી તુરંત જ, ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારોને વળતર તરીકે એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, એર ઇન્ડિયાએ દરેકને 25 લાખ રૂપિયાનું વળતર પણ આપ્યું હતું.
ઉમરગામના બ્રિજની સલામતી:વન મંત્રી મુકેશ પટેલે ભિલાડ-ધનોલી માર્ગ પરના બ્રિજનું નિરીક્ષણ કર્યું
વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની સલામતી તપાસવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે આજે ઉમરગામ તાલુકામાં બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા રસ્તાઓની મરામત પણ કરવામાં આવી રહી છે. જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે ઉમરગામ તાલુકાના ભિલાડ-ધનોલી-ઝરોલી-અંકલાસ માર્ગ પર કિલોમીટર 4/8 થી 5/0 વચ્ચે આવેલા બ્રિજનું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, વલસાડના કાર્યપાલક ઇજનેર પણ હાજર રહ્યા હતા.
ભરૂચમાં એસ.ટી.માં નવા કંડક્ટરોની નિમણૂક:358 કંડક્ટરોને નિમણૂક પત્ર અપાયા, 125 મહિલા કંડક્ટરો સામેલ
રાજ્ય સરકારે એસ.ટી. વિભાગમાં નવા 2320 કંડક્ટરોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 358 કંડક્ટરોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. તેમાંથી 200 કંડક્ટરોએ કામગીરી સંભાળવાની શરૂઆત કરી દીધી છે. એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કંડક્ટરોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ડેપોમાં 125 મહિલા કંડક્ટરોની નિમણૂક થઈ છે. આ પગલું ટ્રાન્સપોર્ટ સેવા ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ ડિવિઝનલ કંટ્રોલ હેડ આર.પી.શ્રીમાળીની અધ્યક્ષતામાં યોજાયો હતો. અધિકારીઓના મતે નવા કંડક્ટરોની નિમણૂકથી એસ.ટી. સેવાઓમાં વધુ કાર્યક્ષમતા આવશે. આનાથી મુસાફરોને વધુ સારી સેવાનો લાભ મળશે.
વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં રોડ નિર્માણ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. નેશનલ હાઇવે પરના કીદરવા ગામથી વડોદરા ડોડીયા ગામને જોડતા 3 કરોડના સિમેન્ટ રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. ગામના માજી ઉપસરપંચ નાથાભાઈ પરમાર અને યુવા અગ્રણી જયેશ ડોડીયાના જણાવ્યા મુજબ, રોડનું નિર્માણ કાર્ય ટેન્ડરના નિયમોથી વિરુદ્ધ થઈ રહ્યું છે. રોડમાં 10 ઈંચના અંતરે લોખંડની જાળી મૂકવાને બદલે અઢીથી ત્રણ ફૂટના અંતરે લોખંડ મૂકવામાં આવી રહ્યું છે. રોડની પહોળાઈ માત્ર 12 ફૂટ હોવાથી બે વાહનો સામસામે પસાર થઈ શકતા નથી. આના કારણે બળદગાડા અને ટ્રેક્ટર રોડની સાઈડમાં પડી જવાના બનાવો બને છે. અકસ્માતમાં ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે. ગ્રામજનોએ લોખંડની ચોરીના વીડિયો પુરાવા સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમાં નિયમ મુજબ ગુણવત્તાસભર કામ કરાવવા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. આર એન્ડ બી પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર હાર્દિક શીંગાળાએ જણાવ્યું કે ગ્રામજનોની ફરિયાદની તપાસ કરવામાં આવશે. જો કોન્ટ્રાકટર દોષિત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. હાલ ચોમાસા અને ગ્રામજનોના વિરોધને કારણે કામ અટકી ગયું છે. તંત્ર ગ્રામજનોના સહકારથી કામ ફરી શરૂ કરવા પ્રયાસ કરી રહ્યું છે.
બોટાદ જિલ્લાના ગઢડાના ગોરડકા ગામના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આના કારણે એસટી બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. બોટાદથી ગઢડા અને ઢસા જવા માટે વાહનચાલકોએ પાટી અને નિગાળા થઈને 36 કિલોમીટરનું ડાયવર્ઝન લેવું પડે છે. આ પરિસ્થિતિની અસર ગઢડા ઢસા, રણીયાળા, ગુંદાળા, માલપરા, ગોરડકા, ટાટમ, હામાપર અને રાજપરા ગામના લોકો પર થઈ છે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ થઈ રહી છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત ગોરડકા ગામના લોકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે કલેક્ટરને રજૂઆત કરી છે. કલેક્ટરે એસટી વિભાગને સૂચનાઓ આપી છે. વૈકલ્પિક વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. લીંબડી સ્ટેટ હાઈવેના કર્મચારીઓ બ્રિજના ચેમ્પલ લેવાનું કામ કરી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજ પર વાહનવ્યવહાર સામાન્ય થશે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાસ ગામે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ 2.0' અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. વંકાસમાં બે હેક્ટર જમીનમાં મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી 124 જાતના 20 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ દીપડાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વનમંત્રીએ જણાવ્યું કે ગત વર્ષે દેશમાં 141 કરોડથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ગુજરાતમાં 17.50 કરોડથી વધુ અને વલસાડ જિલ્લામાં 31 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા આ અભિયાન હેઠળ વંકાસમાં 12,000 વૃક્ષો વાવવાનું આયોજન છે. મંત્રીએ લોકોને અપીલ કરી કે શાળામાં, જન્મદિવસે અને સ્વજનની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. વન વિભાગ આ માટે વૃક્ષો પૂરા પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસે 'એક પેડ મા કે નામ 2.0' અભિયાનની શરૂઆત કરાવી હતી.
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં રાઈડ્સ માટેના પ્લોટની હરાજીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. પાલિકાને પ્રથમ દિવસે જ રાઈડ્સ, ઠંડા પીણા અને રમકડાના સ્ટોલની હરાજીમાંથી 1 કરોડ 62 લાખ 48 હજારની આવક થઈ છે. ઝાલાવાડના સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતા આ લોકમેળાનું આયોજન 15થી 18 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. રાઈડ્સ માટે 51 પ્લોટની હરાજી કરવામાં આવી હતી. પ્લોટોની કિંમત 5 લાખથી લઈને 15.51 લાખ સુધીની બોલી લાગી હતી. આ વર્ષે વધુ રાઈડ્સના વેપારીઓએ હરાજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. હરાજી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલિકાએ વધુ આવકના કારણે મેળામાં વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે. હરાજી પ્રક્રિયા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર, કારોબારી ચેરમેન, મેળા કમિટીના ચેરમેન અને અન્ય સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા.
પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે ટ્રેક્ટર-ટ્રોલીની ચોરીનો ભેદ ગઢ પોલીસે ઉકેલ્યો છે. 12 અને 13 જુલાઈની રાત્રે બાદરપુરા (ખો) બસ સ્ટેન્ડ સામે આવેલી એન્જલ સિમેન્ટ પ્રોડક્શન ફેક્ટરીમાંથી અજાણ્યા શખસે ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી કરી હતી. આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈની સૂચના મુજબ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસે આ કેસમાં ઝડપી કામગીરી કરી છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને ચોરી કરેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લખતર તાલુકામાં પાક નુકસાની સહાયની વહેંચણીમાં કથિત ભેદભાવ સામે ખેડૂત હિતરક્ષક સમિતિએ આજે મોરચો માંડ્યો છે. સમિતિએ તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદીને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં ગત વર્ષની પાક નુકસાની સહાય અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે. સમિતિએ કુલ કેટલા ખેડૂતોએ અરજી કરી, કેટલાને સહાય મળી, કયા માપદંડના આધારે સહાય ચૂકવાઈ અને કેટલી અરજીઓ કેમ નામંજૂર થઈ તે અંગેની માહિતી માગી છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે સહાયની વહેંચણીમાં મોટો ભેદભાવ થયો છે. કેટલાક ગામોમાં 100 ટકા ખેડૂતોને સહાય મળી છે. જ્યારે અમુક ગામોમાં ચોક્કસ વર્ગના ખેડૂતોને સહાયથી વંચિત રખાયા છે. આ મુદ્દે યોગ્ય તપાસની માગણી કરવામાં આવી છે. આવેદન વખતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શક્તિસિંહ રાણા, ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અશોકભાઈ પટેલ અને વિક્રમભાઇ રબારી સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.
ભાવનગરમાં જુગાર ધામ પર દરોડો:મોખડાજી સર્કલ પાસેથી 6 નેપાળી શખ્સો રૂ.41 હજાર સાથે ઝડપાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોખડાજી સર્કલ વિસ્તારમાંથી જુગાર રમતા 6 નેપાળી શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે પન્ના અગરબત્તી વાળાના બંગલા સામેની જાહેર જગ્યા પરથી આ શખ્સોને પકડવામાં આવ્યા છે. આરોપીઓ ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 41,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં લોકબહાદુર સાઉદ (25), રામબહાદુર શાઉદ (28), ગોવિંદ રોકાયા (27), રામ સાઉદ (25), તપેન્દર સાઉદ (29) અને તેજબહાદુર વિશ્વકર્મા (29)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મૂળ નેપાળના સાંતડા ગામના વતની છે. હાલમાં તેઓ ભાવનગરના સરદારનગર અને આસપાસના વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત સ્તરે જન સુરક્ષા યોજનાઓની સંતૃપ્તિ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ 1 મે થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમી APMCમાં યોજાયેલા કેમ્પમાં અગ્રણી જિલ્લા મેનેજર કુલદીપસિંહ એ. ગેહલોતે ગ્રામજનોને યોજનાઓની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) હેઠળ 18થી 50 વર્ષના નાગરિકોને વાર્ષિક 436 રૂપિયાના પ્રીમિયમમાં 2 લાખનું જીવન વીમા કવર મળે છે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)માં 18થી 70 વર્ષના લોકોને માત્ર 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં 2 લાખનું અકસ્માત વીમા કવર મળે છે. અટલ પેન્શન યોજના (APY) 18થી 40 વર્ષના નાગરિકો માટે છે. કાર્યક્રમમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર સુરક્ષા અંગે પણ માહિતી આપવામાં આવી. ગ્રામજનોને OTP, પિન અને પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા સૂચના અપાઈ. ભવિષ્યમાં દરેક ગ્રામ પંચાયતમાં આવા કેમ્પનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત ગ્રામીણ બેંકના ક્ષેત્રીય પ્રબંધક વિકાસ કુમાર સિન્હા, બેંક ઓફ બરોડા પાલનપુરના ઉપ ક્ષેત્રીય પ્રબંધક પંકજ રતન, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના AGM પ્રહલાદભાઈ પટેલ, સમી સરપંચ સૈયદ ગફૂરભાઇ, APMC ઉપ ચેરમેન નવીનભાઈ જાદવ, આરસેટી પાટણના નિયામક દિનેશ દગદી સહિત TLM અને સમી બ્લોકના તમામ બેંક મેનેજર્સ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો ઉમટી પડ્યા હતા. અમિત ચાવડાના આગમનને લઈને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી હતી. 'જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર સહન કરી રહી છે'અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તેમના માટે આ ખૂબ મોટી જવાબદારી છે. અમિત ચાવડાએ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર સહન કરી રહી છે. તેમણે તાજેતરમાં ગુજરાતમાં પુલ તૂટવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ગયો હોય તેવી રાજ્યની સ્થિતિ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતની જનતાનો વિશ્વાસ આ પુલ તૂટવા સાથે સરકાર પરથી પણ તૂટી ગયો છે. 'કોંગ્રેસ લોકોની સાથે રહી તેમના અધિકારો માટે લડત આપશે'આ ઉપરાંત, અમિત ચાવડાએ મહિલાઓ પર બળાત્કાર અને આપઘાતની ઘટનાઓમાં થયેલા વધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ખાતરી આપી કે કોંગ્રેસ લોકોની સાથે રહીને તેમના અધિકારો માટે લડત આપશે. અમિત ચાવડાએ બીજીવાર તક આપવા બદલ નેતૃત્વનો ફરી આભાર માન્યો અને જણાવ્યું કે તેમની પહેલી પ્રાથમિકતા બૂથને મજબૂત બનાવવાની રહેશે. આમ, અમિત ચાવડાએ બીજીવાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો છે અને તેમણે રાજ્યના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
રાપર તાલુકામાં હરિયાળી અભિયાન:વન વિભાગ દ્વારા લીમડા, વડ સહિત વિવિધ રોપાઓનું વિતરણ
રાપર વિસ્તારમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જ છેલ્લા એક દાયકાથી રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ લાવવા કાર્યરત છે. વન વિભાગ દ્વારા રોડ સાઇડ, કેનાલ, મંદિર, શાળા, ધાર્મિક સ્થળો અને જાહેર બાગ-બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવે છે. ડીએફઓ જયંત પટેલના માર્ગદર્શન હેઠળ, આર.એફ.ઓ મહિપતસિંહ ચાવડા અને તેમની ટીમ આ કાર્યક્રમનું સંચાલન કરી રહી છે. રાપર અને નિલપર ખાતે આવેલા રોપ ઉછેર કેન્દ્રમાં દર વર્ષે લાખો રોપાઓનો ઉછેર કરવામાં આવે છે. આ કેન્દ્રમાં લીમડા, વડ, પીપળા, ઉમરો, આમળા, જાંબુ, ગુંદા, તુલસી અને આમલી જેવા વિવિધ વૃક્ષોના રોપા તૈયાર કરવામાં આવે છે. યાત્રાધામ રવેચી માતાજી અને મોમાયમોરા ત્રિકમ સાહેબના વિરડા પાસે વન કવચ બનાવવામાં આવ્યું છે. આ વન કવચમાં 54 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. વન વિભાગ ખેડૂતોને પણ રોપાઓનું વિતરણ કરે છે. વિભાગ દ્વારા સામાજિક કાર્યક્રમોમાં લોકોને વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
મહેસાણા RTOની 8 સ્કૂલોમાં તપાસ:અંડર એજ ડ્રાઈવિંગ સામે કાર્યવાહી, 120 વાહનો પર 5.07 લાખનો દંડ
મહેસાણા RTOએ અંડર એજ ડ્રાઈવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે મોટી કાર્યવાહી કરી છે. 17 અને 18 જૂનના રોજ RTOની 8 ટીમોએ શહેરની 8 સ્કૂલોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. કચેરીના 24 અધિકારીઓએ લાઈસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 120 વાહનોના 214 ગુના નોંધવામાં આવ્યા. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કુલ 5,07,200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTOએ શાળાના આચાર્યો સાથે બેઠક યોજી હતી. તેમને વાલી મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવા સૂચના આપી હતી. દંડ ભરવા આવેલા વાલીઓ અને બાળકોનું કચેરીમાં કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. મહેસાણા ARTO સ્વપ્નિલ એમ. પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સલામતી માટે વાલીઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે. ગયા વર્ષે પણ આવા કેસોમાં વાલીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા તંત્ર તરફથી વાલીઓને આ બાબતે સંવેદનશીલ રહેવા અપીલ કરવામાં આવી છે. અંડર એજ ડ્રાઈવિંગ કરતા બાળકોને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન હોતું નથી. તેમનામાં જવાબદારીની સભાનતાનો અભાવ હોય છે. લાઈસન્સ વગર વાહન ચલાવીને તેઓ પોતાને અને અન્યોને નુકસાન પહોંચાડે છે.
પોક્સો કેસમાં કડક કાર્યવાહી:સગીરા પર બળાત્કાર કરનારને 20 વર્ષની જેલ, રૂ.4 લાખનું વળતર
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 14 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં આરોપીને સજા ફટકારી છે. આરોપી મગન મોહનભાઈ મછાર (રહે. મહુન્દ્રા, ચિલોડા-હિંમતનગર હાઇવે)ને 20 વર્ષની કેદની સજા અને રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 17 એપ્રિલ 2024ના રોજ સવારે સાડા પાંચ વાગ્યે સગીરા ઘરેથી નીકળી હતી. મોટા ચિલોડા સર્કલ પાસે એક વ્યક્તિને મળ્યા બાદ તે મહુન્દ્રા પાટીયા તરફ ગઈ હતી. ત્યાં આરોપીએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે પીડિતાને રાજસ્થાન લઈ જઈને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. 19 એપ્રિલે પીડિતાના પિતાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કર સમક્ષ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાની દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે કડક સજા ફટકારી છે. કોર્ટે આરોપીને સજા ઉપરાંત પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર એમ. પટેલે સિધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત કલેકટર કુલદીપ દેસાઈ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ એ. પટેલ અને બી.ટી.એમ. સંજયભાઈ બી. રાઠોડ પણ જોડાયા હતા. ફાર્મના માલિક લકુમ નારાયણભાઈ ગંગારામભાઈની આ મોડેલ ફાર્મમાં પપૈયાની ખેતી જોઈને કલેકટરે પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન 30થી 40 જેટલા સ્થાનિક ખેડૂતો પણ હાજર રહ્યા હતા. જેમાં નટવરભાઈ ગંગારામભાઈ લકુમ, રણછોડભાઈ નારાયણભાઈ લકુમ અને દયારામભાઈ સોંડાભાઈ મકવાણા સહિતના ખેડૂતો સામેલ હતા. કલેકટર ડો. પટેલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને સ્વયં જાગૃત થઈને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. સફળ પપૈયા પાક માટે ખેડૂતને અભિનંદન આપ્યા અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કર્યા.
પાટણ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધારાસભ્ય કિરીટ પટેલે આજે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ટી-આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈન, વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને વરસાદી પાણીના નિકાલની કામગીરીને કારણે મોટાભાગના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાજમહેલ રોડ પરના નવા ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ પણ કથળી ગઈ છે. રસ્તા પરના ખાડાઓને કારણે અકસ્માતની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે. ધારાસભ્યએ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, એન્જિનિયર, જીયુડીસીના કર્મચારી અને ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી હતી. તેમણે સર્વિસ રોડ પરના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપી હતી. સિદ્ધરાજનગર, રાજનગર અને દેવપુરી સોસાયટીમાં રોડનું લેવલ નીચું હોવાથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાની તૈયારી દર્શાવી છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા સંકલન સમિતિની આવતીકાલની બેઠક અંગે મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાળની ચિમકી આપી છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. કિરીટ પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી સમિતિની બેઠકોમાં તેમના પ્રશ્નોના જવાબો અધૂરા અને મોડા મળે છે. તેમણે 9 જૂન, 2025ની બેઠકમાં જિલ્લા પોલીસવડા પાસેથી માંગેલી માહિતી અધૂરી હોવાનો આરોપ મૂક્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંબંધિત મામલામાં પણ 17 જુલાઈ, 2025ના રોજ મળેલી માહિતી અપૂરતી હતી. યુનિવર્સિટી દારૂ કેસમાં અરજદાર લાડજીજી ઠાકોરના નિવેદનની નકલ પણ આપવામાં આવી નથી. ફાયરમેનની માહિતી બાબતે 23 સપ્ટેમ્બર, 2024થી માંગવામાં આવેલી વિગતો 18 જુલાઈ, 2025ના પત્રથી નકારી કાઢવામાં આવી હતી. રજિસ્ટ્રારની હાજરી છતાં તેમની સહીથી માહિતી આપવામાં આવી નથી. ધારાસભ્યે કલેક્ટરને યુનિવર્સિટીના કુલસચિવ અને જિલ્લા પોલીસવડાને સંપૂર્ણ માહિતી સાથે બેઠકમાં હાજર રહેવા સૂચના આપવા વિનંતી કરી છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં મુખ્યમંત્રી કચેરી ખાતે ધરણા કરવાની ચેતવણી પણ આપી છે.
વડોદરામાં અંબે અને જય અંબે વિદ્યાલય, હરણી ખાતે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો. સરદાર પટેલ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. વિદ્યાર્થીઓએ પ્રાર્થના નૃત્ય, લીડરશીપ નૃત્ય અને રાષ્ટ્રભક્તિ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. શાળાના હેડ બોય્ઝ-ગર્લ્સ અને કેપ્ટન્સ-વાઇસ કેપ્ટન્સે માર્ચિંગ કર્યું હતું. નવનિયુક્ત કાઉન્સિલ સભ્યોને બ્લેઝર અને સેશેસ આપવામાં આવ્યા હતા. તેમણે શાળા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા શપથ લીધા હતા. હેડ બોય્ઝ અને હેડ ગર્લ્સને શાળા બંધારણની સોંપણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ, કેજી વિભાગના નિયામક ભાવેશાબેન શાહ, વાઘોડિયા રોડ શાખાના નિયામક આશિષભાઈ શાહ અને હરણી શાખાના નિયામક વિવેકભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન વસાવાએ વિદ્યાર્થીઓને નેતૃત્વ અને જવાબદારીના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સમાપન આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે થયું હતું.
CREDAI ગાંધીનગરની યુવા પાંખે શુક્રવારે સરગાસણમાં પ્લાન્ટ એન્ડ પ્લેજ વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં CREDAI ના સભ્યો, નેતાઓ, જાહેર અધિકારીઓ અને નાગરિકોએ ભાગ લીધો. CREDAI ના ચેરમેન પ્રવિણ પટેલ, પ્રમુખ જસુ પટેલ અને યુવા પાંખના પ્રમુખ હિમાંશુ પટેલે સમર્પિત ગ્રીન ઝોનમાં સેંકડો છોડ રોપવાનું નેતૃત્વ કર્યું. યુવા પાંખના પ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું કે આ અભિયાન આવતીકાલને વધુ હરિયાળી અને ટકાઉ બનાવવામાં મદદરૂપ થશે. કાર્યક્રમમાં ધારાસભ્યો જે એસ પટેલ અને રીટા પટેલ, ગાંધીનગરના મેયર મીરા પટેલ, એસપી રવિ તેજા અને ભાજપ નેતા જયરાજસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમણે પર્યાવરણીય જવાબદારી એક સહિયારી ફરજ હોવાનો સંદેશ આપ્યો. આ અભિયાન CREDAI ગાંધીનગરના જવાબદાર વિકાસ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોનું પ્રતીક છે. સંસ્થા આવનારી પેઢીઓ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણ માટે કટિબદ્ધ છે.
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્દેશ મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાના નાયબ કમિશનર અશ્વિન પાઠકે આજે વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી મરામત કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે છરવાડા મુખ્ય માર્ગ, છરવાડાથી છીરી અને છીરીથી રાતાને જોડતા રસ્તાઓની મુલાકાત લીધી. નાયબ કમિશનરે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને નાગરિકોની અસુવિધા ઘટાડવા સૂચના આપી. પાઠકે ચોમાસા પહેલા બનાવવામાં આવેલા છરવાડા-સલવાવ રોડ, સલવાવ મુખ્ય માર્ગ અને ડુંગરા ભોપાલી નગરી રોડનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે આ રસ્તાઓની કામગીરીની ગુણવત્તાની ખાતરી કરી. નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ ઇજનેર રેગન પટેલ અને સિવિલ ઇજનેર રામચંદ્ર દેસાઇ પણ હાજર રહ્યા હતા.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295માં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના ધોરણ 2થી 8ના તમામ વિદ્યાર્થીઓને પ્રથમ સત્રના અભ્યાસ માટે વ્યક્તિગત કિટ આપવામાં આવી. આ કિટમાં નોટબુક, વોટરબેગ, ટિફિનબોક્સ અને કંપાસબોક્સ સહિતનું શૈક્ષણિક સામગ્રી સામેલ છે. કિટ મેળવીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ-મોજા અને સ્પોર્ટ્સ યુનિફોર્મ જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી. આ પહેલથી વાલીઓને આર્થિક રાહત મળશે. શિક્ષણને વધુ સર્વગ્રાહી બનાવવા માટે 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત આ પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ગામના માજી સરપંચ મુકેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા શૈક્ષણિક સામગ્રીનું મહત્વ સમજાવ્યું હતું.
રાજપીપળામાં આદિવાસી સમાજ એકતા સંગઠને મહત્વપૂર્ણ માંગ ઉઠાવી છે. સંગઠને કુળદેવી યાહા મોગીની માંડુલી અને આસપાસની જમીન આદિવાસી સમાજના વિકાસ માટે અનામત રાખવાની માંગ કરી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપલા કસબાની સીમમાં આવેલ સર્વે નંબર 85/1 પર જૂની DSP ઓફિસ ટેકરાફળિયા પાસે આ જમીન આવેલી છે. આ સ્થળે વર્ષોથી આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગીની માંડુલી અસ્તિત્વ ધરાવે છે. પૂર્વ પાલિકા પ્રમુખ મહેશ વસાવા અને ભાજપના આગેવાન હરેશ વસાવા સહિત વિવિધ પક્ષોના આદિવાસી નેતાઓએ સંસદ સભ્ય અને ધારાસભ્યને આવેદન સુપરત કર્યું છે. આ સ્થળ આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભક્તો દ્વારા પૂજા-પાઠ કરવામાં આવે છે. સાથે સીમાડિયા દેવ અને વાઘન દેવનું પણ સ્થાનક છે. રાજપીપળાના દસ ફળિયાઓમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રસંગોની ઉજવણી માટે અન્ય કોઈ જગ્યા નથી. ભારતીય બંધારણની કલમ 244 અંતર્ગત આ વિસ્તાર અનુસૂચિત વિસ્તારમાં આવે છે. સમાજની માંગ છે કે આ જમીન અનામત રાખવામાં આવે અને અહીં પ્રસ્તાવિત આદર્શ આદિવાસી કન્યા છાત્રાલય અન્ય સ્થળે બાંધવામાં આવે.
કંથારીયા ગામમાં યુવકની હત્યા:40 વર્ષીય વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો, લાશ સળગાવવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. રમેશ ફોરણીયા (ઉંમર 40)ની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હત્યારાઓએ રમેશની હત્યા કર્યા બાદ તેમની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના મતે આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની શક્યતા છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ ચુડા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના કારણે સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રી-પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના શિક્ષકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના બે શિક્ષકો મનીષા ડુગર અને નિયતિ કવીશ્વરને ઈન્ટરનૅશનલ પ્રી-પ્રાઈમરી ટીચર્સ ઓલિમ્પિયાડમાં વિશ્વના ટોપ 500 એજુકેટર્સમાં સ્થાન મળ્યું છે. આ બંને શિક્ષકોએ અર્લી ચાઈલ્ડહુડ એજુકેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. તેમણે બાળકોના શિક્ષણમાં દાખવેલી કુશળતા અને ધગશ તેમજ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિથી ન માત્ર શાળા પરંતુ સમગ્ર અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
બાળસંસદની ચૂંટણી:ભેસ્તાન ની શાળા નં. 213માં ઈ-વોટિંગથી મહામંત્રી પદની ચૂંટણી યોજાઈ
ભેસ્તાનની શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક 213માં બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. 16 જુલાઈ 2025ના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં મહામંત્રી પદ માટે 6 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વોટિંગ મશીન એપ દ્વારા મતદાન કર્યું હતું. આ ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ ભૂમિકાઓ નિભાવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રિસાઈડિંગ ઑફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઑફિસર અને પોલિંગ ઑફિસરની જવાબદારી સંભાળી હતી. અન્ય વિદ્યાર્થીઓએ બૂથ લેવલ ઑફિસર અને પોલીસની ભૂમિકા અદા કરી હતી. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાલિદાસ જન્મજયંતિ ઉજવણી:અમદાવાદની એ.પી. પટેલ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન
અમદાવાદની શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા 18 જુલાઈ 2025ના રોજ મહાકવિ કાલિદાસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સેમ-1ની વિદ્યાર્થિની શ્રેયા દ્વારા પ્રાર્થનાથી થઈ. સંસ્થાના આચાર્ય ડૉ. મુકેશભાઈએ જણાવ્યું કે આ કાર્યક્રમ સંસ્થાના સ્થાપનાકાળથી દર વર્ષે યોજાય છે. તેમણે કાલિદાસને ભારતીય શાશ્વત મૂલ્યોના પ્રતિનિધિ તરીકે બિરદાવ્યા. મુખ્ય મહેમાન અને સંસ્કૃત વિદ્વાન ડૉ. દિલખુશભાઈએ 'કાલિદાસની રચનાઓમાં સ્પર્શતત્વ' વિષય પર વ્યાખ્યાન આપ્યું. વિભાગના વડા ડૉ. મંજુલાબેનના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન અને કાલિદાસની કૃતિઓ પર આધારિત નાટ્યપ્રસ્તુતિ કરી. કાર્યક્રમનું સંચાલન ડૉ. ગોવિંદભાઈએ કર્યું. આ પ્રસંગે સંસ્થાના તમામ ફેકલ્ટી સભ્યો અને 250 વિદ્યાર્થીઓએ હાજરી આપી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન અને આભારવિધિ સાથે થયું.
નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર આવેલા પૂર્ણા નદી બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે. વર્ષ 1978માં બનેલો આ બ્રિજ હવે 47 વર્ષ જૂનો થયો છે. વડોદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ડિઝાઈન સર્કલ ગાંધીનગરના અધિકારીઓએ આ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણમાં બ્રિજની સ્થિતિ નબળી જણાતા સલામતીના કારણોસર તેને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારીએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(બી) હેઠળ 18 જુલાઈથી 15 સપ્ટેમ્બર 2025 સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિજ પર માત્ર હળવા વાહનો અને ઈમરજન્સી વાહનોની અવરજવર ચાલુ રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા છે. સુરત અને સચિનથી નવસારી તરફ જતા વાહનો મરોલી-વેસમા રોડ અથવા કરસબાપર-આમરી-ધોળાપીપળા રોડથી નેશનલ હાઈવે-48 થઈને પસાર થઈ શકશે. નવસારીથી સુરત અને સચિન તરફ જતા વાહનોએ નેશનલ હાઈવે-48થી મરોલી-વેસમા રોડ અથવા કરસબાપર-આમરી-ધોળાપીપળા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ કારણે નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી ગઈ છે. હવે ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 17 મીટર દૂર છે. નર્મદા ડેમ હાલ 60 ટકા ભરેલો છે. આ સીઝનમાં તેની સપાટી 138.68 મીટર સુધી પહોંચવાની સંભાવના છે. ડેમના દરવાજા 121.92 મીટરની ઊંચાઈએ સ્થિત છે. તેની ઉપર 30 દરવાજા લગાડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 70 સેમીનો વધારો નોંધાયો છે. ચોમાસાની સીઝન હજુ બાકી હોવાથી અચાનક પૂર આવવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમે સાવચેતીના પગલાં લીધા છે. પાણીની આવક સામે ખર્ચ પણ વધારવામાં આવ્યો છે. RBPH ના 3 અને CHPH નું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. આ દ્વારા નર્મદા નદીમાં 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજી ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતીમાં બીજું ચાતુર્માસ પાળી રહ્યા છે. શુક્રવારે 'વીર ભિક્ષુ સમવસરણ' મંચ પરથી તેમણે ધર્મોપદેશ આપ્યો. આચાર્યશ્રીએ જણાવ્યું કે એક વ્યક્તિનો પ્રભાવ અનેક લોકો પર પડે છે. તેમણે સમજાવ્યું કે જ્યારે કોઈ શહેરમાં સાધુ આવે અને મુખ્ય વ્યક્તિઓ તેમનો પ્રભાવ સ્વીકારે, ત્યારે સામાન્ય જનતા પણ તેમના તરફ આકર્ષાય છે. આચાર્યશ્રીએ મોહનીય કર્મ વિશે સમજાવતા કહ્યું કે આઠ કર્મોમાં તે સૌથી શક્તિશાળી છે. જો મોહનીય કર્મનો નાશ થાય તો અન્ય કર્મો પણ નષ્ટ થાય છે. તેમણે કષાયોને નિયંત્રિત કરવા પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના થાણે શહેરના પૂર્વ સાંસદ સંજીવ નાઈક પણ દર્શન માટે આવ્યા હતા. અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીના મંત્રી મનોજ સિંઘવી અને જીવન વિજ્ઞાન પ્રકલ્પના રમેશ પટાવરીએ પણ હાજરી આપી. મુનિ મનનકુમારજી, જે અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીના પર્યવેક્ષક છે, તેમણે શ્રદ્ધાભિવ્યક્તિ કરી. તેરાપંથ પ્રોફેશનલ ફોરમના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંમત માંડોતે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા.
મોરબી જિલ્લામાં એક જ દિવસે ત્રણ અલગ-અલગ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નોંધાયા છે. માળીયા મીયાણા તાલુકાના માણબા ગામના તળાવમાં 31 વર્ષીય બળવંતભાઈ બારીયા ન્હાવા પડ્યા હતા. તેઓ ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બળવંતભાઈ દાહોદના વતની હતા. તેઓ વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં મજૂરી કરતા હતા. હળવદના રાણેકપર ગામમાં બાબુભાઈ ધાણકની એક વર્ષની દીકરી નમુને અકસ્માત નડ્યો હતો. પડી જવાથી માથામાં ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર હળવદમાં આપવામાં આવી હતી. વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ટંકારા તાલુકાના ગણેશપર ગામના 54 વર્ષીય જશુબેન મેરાને બીમારી હતી. તેમનો દીકરો તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય બનાવોની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વિજાપુરના મણીપુરામાં રખડતા ઢોરોનો ત્રાસ:બે બાળકોને ઈજા બાદ મહિલાઓએ મામલતદાર-TDOને આવેદન આપ્યું
વિજાપુર તાલુકાના મણીપુરા ટીબી રોડ પર રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિક મહિલાઓએ મામલતદાર શૈલેષસિંહ બારીયા અને તાલુકા વિકાસ અધિકારી ચૌધરીને આવેદનપત્ર આપ્યું છે. થોડા દિવસ પહેલા મણીપુરા ગામની શાળા પાસે રખડતી ગાયોએ બે બાળકોને સિંગડું મારતા તેમને ઈજા થઈ હતી. બાળકોને ગાયોના ચુંગળમાંથી છોડાવીને સારવાર અપાઈ હતી. રોડની વચ્ચે ઢોરો ઊભા રહી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક આગેવાન ડાહ્યાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ મુદ્દે ધારાસભ્ય સી.જે. ચાવડા અને પ્રાંત અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા વારંવાર આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ સમસ્યાના નિરાકરણ માટે આશ્વાસન આપ્યું છે.
જૂનાગઢ નેત્રમ શાખાની મોટી સિદ્ધિ:CCTV કેમેરાના ઉપયોગથી રાજ્યમાં 21મી વાર એવોર્ડ મેળવ્યો
જૂનાગઢ નેત્રમ શાખાએ CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવોના ભેદ ઉકેલવામાં મેળવેલી સફળતા માટે 16મો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શાખાને કુલ 21મા એવોર્ડથી સન્માનિત કરી છે. જૂનાગઢ હેડક્વાર્ટરમાં ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને 27 પોલીસ સ્ટાફ તથા એન્જીનીયર્સ 24x7 ફરજ બજાવે છે. વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં (જાન્યુઆરી થી માર્ચ) CCTV કેમેરાનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાએ રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેત્રમ શાખાના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ કામળીયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શાખાએ 16 વખત બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં, 3 વખત ઇ-ચલણની કામગીરીમાં અને 2 વખત ઇ-કોપ એવોર્ડ મેળવ્યા છે. એપ્રિલ 2021થી માર્ચ 2025 સુધીમાં CCTV કેમેરાના ઉપયોગથી કુલ 2204 કેસ ઉકેલવામાં આવ્યા છે. આમાંથી 2129 કેસ જૂનાગઢ જિલ્લાના અને 75 કેસ અન્ય જિલ્લાઓના છે. આ કામગીરી દરમિયાન કુલ રૂ. 8.88 કરોડનો મુદ્દામાલ રિકવર કરી પ્રજાને પરત કરવામાં આવ્યો છે.
રાજ્યની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઓમ નમઃ શિવાય લખેલા ઉપવસ્ત્ર અને પ્રસાદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમિતિના સભ્યોએ ગંગાજળથી જળાભિષેક કર્યો હતો. તેમણે શ્રી હમીરજી ગોહિલની ખાંભીએ નમન કરી શહીદીનું સ્મરણ કર્યું હતું. સાથે જ ગણપતિ અને હનુમાનજી મહારાજના દર્શન પણ કર્યા હતા. અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતની જાહેર હિસાબ સમિતિ છેલ્લા બે વર્ષમાં દેશની સૌથી વધુ કાર્યશીલ સમિતિ બની છે. સમિતિએ 5000થી વધુ પારાઓનો વિશદ અભ્યાસ કરી નિકાલ કર્યો છે. તેમણે કહ્યું કે સમિતિ નાણાકીય શિસ્ત જાળવવા કટિબદ્ધ છે. રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું અવલોકન કરી રાજ્યની પ્રગતિ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ડૉ. સંજયભાઈ પરમાર, માનસિંહભાઈ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચેક રિટર્ન કેસમાં ચુકાદો:60 લાખના ચેક બાઉન્સ મામલે વેપારીને એક વર્ષની જેલ, વળતર ચૂકવવા આદેશ
ગાંધીનગરની કોર્ટે ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો છે. આરોપી હિતેશકુમાર સોનીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને રૂ. 60 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. ફરિયાદી હર્ષલકુમાર ચૌહાણે તેમના મિત્ર હિતેશકુમાર સોનીને ધંધાકીય કામકાજ માટે રૂ. 60 લાખ આપ્યા હતા. આ રકમ હર્ષલકુમારે પોતાની અંગત બચત અને તેમના પિતાની સરકારી નોકરીમાંથી મળેલી રકમમાંથી આપી હતી. રકમ પરત કરવાની મુદત પૂરી થતાં હિતેશકુમારે RTGS થી રૂ. 5 લાખ ચૂકવ્યા. બાકીની રકમ માટે તેમણે IDFC બેંકના બે ચેક આપ્યા. એક ચેક રૂ. 20 લાખનો અને બીજો રૂ. 35 લાખનો હતો. બંને ચેક ફંડ ઇનસફિશિયન્ટના કારણે પરત આવ્યા. ફરિયાદીએ લીગલ નોટિસ આપી હતી. આરોપીએ નાણાં પરત ન કરતાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જો આરોપી વળતર નહીં ચૂકવે તો વધુ એક માસની કેદની સજા ભોગવવી પડશે. ફરિયાદી તરફે એડવોકેટ ભરત વી. પંડ્યાએ કેસ રજૂ કર્યો હતો.
રાજકોટ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પરથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી તપાસ દરમ્યાન સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા આ અંગેના કેસ અધિક કલેકટર સમક્ષ ચાલી જતા આલોક ગૌતમ દ્વારા 7 જેટલી વેપારી પેઢીને રૂ. 6.60 લાખનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના ભીલવાસમાં આવેલ ભારત બેકરીમાંથી સ્પે.એલચી રસના 250 ગ્રામના પેકેટનો નમૂનો લેવામાં આવેલ હતો જે લેબોરેટરી તપાસમાં નાપાસ થતા ભારત બેકરીને રૂ.1.50 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.આ જ રીતે શ્રીરામ માર્કેટીંગ નામની વેપારી પેઢીમાંથી સીંગતેલનો નમૂનો લેવામાં આવેલ હતો. જે સબ સ્ટાન્ડર્ડ થતા આ શ્રીરામ માર્કેટીંગને રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. આ સાથે જ સાથોસાથ હોટલ એડીબીમાંથી પનીર લૂઝનો નમૂનો ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા લેવામાં આવેલ હતો જે પણ લેબોરેટરી તપાસમાં નાપાસ થતા આ હોટેલ એડીબીને રૂ.75 હજારનો દંડ કરવામાં આવેલ છે ત્યારે શહેરના જામનગર રોડ પર આવેલ ખોડીયાર કાઠીયાવાડી ધાબામાંથી પનીર લૂઝનો લેવાયેલ નમૂનો પણ નાપાસ થતા તેને રૂ.25 હજારનો દંડ આ ઉપરાંત જનતા મીલ્ક એન્ડ ફૂડમાંથી ઘી અને મલાઈના નમૂના લેવામાં આવેલ હતા.જે બન્ને નાપાસ થતા જનતા મીલ્ક એન્ડ ફૂડને રૂ.50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ વિરડા વાજડીમાં આવેલ મસાલા ડાઈરીઝ હોસ્પિટલિટી ખાતેથી દહીંનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે પણ સબ સ્ટાન્ડર્ડ થતા તેને રૂ.1.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખોડીયાર એન્ટરપ્રાઈઝમાંથી વેજીટેબલ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો જે પણ નાપાસ થતા અધિક કલેકટર આલોક ગૌતમ દ્વારા આ પેઢીને રૂ.35 હજારનો દંડ કરવામાં આવેલ છે. આમ કુલ 7 પેઢીને અધિક કલેકટર એ. કે.ગૌતમ દ્વારા રૂ. 6.60 લાખનો આકરો દંડ કરવામાં આવેલ છે.
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં વનવિભાગે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વનવિભાગને મળેલી બાતમીના આધારે વાલજી માતંગના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન વનવિભાગની ટીમને કાળિયારનું ચામડું અને સિંહ અથવા દીપડાના નખ મળી આવ્યા હતા. આ મામલે વનવિભાગે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ નખ 20 વર્ષ જૂના છે અને તેનો ઉપયોગ તાંત્રિક વિધિમાં કરવામાં આવતો હતો. સાવરકુંડલા રેન્જ RFO પી.એન.ચાંદુના જણાવ્યા અનુસાર, લાલજીભાઈ માતંગના ઘરે મળેલા વન્યપ્રાણીના નખની ચોક્કસ ઓળખ માટે તેને FSL તપાસ માટે મોકલવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આ નખ સિંહ અથવા દીપડાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવની સૂચના બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના ગ્રીન એરિયામાં વધારો કરવા 'અર્બન ગ્રીનીંગ પોલીસી મેઝર્સ ફોર એ ગ્રીનર અમદાવાદ તૈયાર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અંતર્ગત, દરેક ટી.પી. સ્કીમના કુલ વિસ્તારમાંથી ઓછામાં ઓછો 5 ટકા વિસ્તાર ગ્રીન કવર માટે અનિવાર્ય રીતે ફાળવવા અને ઓછામાં ઓછો 1 ટકા વિસ્તાર મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ તરીકે વિકસાવવા માટે અનામત રાખવામાં આવશે. શહેરના જાહેર તથા ખાનગી વિસ્તારોમાં ગ્રીન એરિયા વધારવા પોટેન્શિયલ જગ્યા નક્કી કરવાના માપદંડ, હયાત વૃક્ષોની જાળવણી તથા કાપણી માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. રોડ સાઈડ, કોમન પ્લોટ, ઓપન પ્લોટમાં નવા વૃક્ષો વાવવા માટેની રૂપરેખા તથા માપદંડ નક્કી થશે. વૃક્ષોની તંદુરસ્તી જાળવવા વિવિધ પ્રયાસો; વૃક્ષોનો સર્વાઇવલ રેટ વધારવા માટેના સૂચનો; નેટીવ ટ્રી-સ્પીસીસનું વાવેતર અને નિયમિત જાળવણી; સાઈન્ટીફિક ગ્રીનીંગ પ્રેક્ટીસ (વર્ટીકલ ગાર્ડન, અર્બન ફોરેસ્ટ, રૂફ ગાર્ડન, કોમ્પોસ્ટીંગ); પબ્લિક પાર્ટીસીપેશનના આધારે વૃક્ષારોપણ વિગેરે જેવી વિવિધ કામગીરી હાથ ધરવાની યોજના બનાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા માટે આ પોલીસી તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત આ પોલીસી દ્વારા જન ભાગીદારી થકી અર્બન ગ્રીન સ્પેસ વધારવા તથા સુચારુ મેનેજમેન્ટ થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રોત્સાહન સ્કીમો તથા CSR/CER ને પ્રમોટ કરવા માટેના વિવિધ પગલાનું સુચન કરવામાં આવ્યું છે. કિચન ગાર્ડનિંગ, ટ્રી પ્લાન્ટેશન, ગ્રીન/ ગાર્ડન વેસ્ટ મેનેજમેન્ટ, અને કમ્પોસ્ટિંગ જેવા વિષયો પર અભિયાનો અને વર્કશોપ દ્વારા અવેરનેસ તથા ટ્રેનીંગ જેવા વિષયો પર ભાર મુકવામાં આવ્યો છે. જન ભાગીદારી દ્વારા સંચાલિત અર્બન ગ્રીનિંગ પ્રોજેક્ટ્સ અને વોલેન્ટિયર કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અર્બન ગ્રીનીંગ એડવાઈઝરી કમિટીની રચનાશહેર માટે અર્બન ગ્રીનીંગ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવશે જેમાં AMCના સીનીયર ઓફિસરો સાથે સાથે અર્બન પ્લાનર્સ, અર્બન ડીઝાઈનર્સ, હોર્ટીકલ્ચર, એન્વાયર્મેન્ટ એક્ષ્પર્ટ, કોમ્યુનીટી લીડર્સ, NGOના રીપ્રેઝેન્ટેટીવ, સીટીઝન ગ્રુપ, CREDAIના મેમ્બર્સ, બિલ્ડર એશોશીયેશન, GIDC, ચેમ્બર ઓફ કોમર્સ, એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ વિગેરે નો સમાવેશ કરવામાં આવશે, જે શહેરમાં ગ્રીન કવર વધારવા તથા તેને મેઇન્ટેઇન કરવા જરૂરી સલાહ સુચન આપશે તથા ગ્રીન પ્રોગ્રામના અમલીકરણમાં મદદ કરી શકશે. વોર્ડ લેવલના પ્રોબ્લેમ જાણીને સમયસર એડ્રેસ કરવા વોર્ડ લેવલ અર્બન ગ્રીનીંગ કમિટી પણ બનાવવામાં આવશે. શું છે પોલીસીમાં- શહેરી ગ્રીન કવર વધારવા માટે જાહેર તથા ખાનગી મિલકત પર વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું તથા શહેરમાં આવેલી ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરી તેનું જતન કરવું- નેટીવ સ્પીસીસનું વૃક્ષારોપણ કરીને સ્થાનિક પર્યાવરણને અનુકૂળ ઇકોસીસ્ટમને સપોર્ટ કરવો તેમજ વિવિધ સ્પીસીસનું વૃક્ષારોપણ કરી, એકજ પ્રકારના વૃક્ષોનું રોપણ ટાળવું- શહેરમાં ઓક્સિજન પાર્ક, રેઇન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, લેક ગાર્ડન, અર્બન ફોરેસ્ટ, ઇકોલોજીકલ પાર્ક, બાયો- ડાયવર્સિટી પાર્ક જેવી વૈવિધ્યસભર ગ્રીન સ્પેસ વિકસાવવી- મિયાવાકી પ્લાન્ટેશન તથા વન કવચ પદ્ધતિ દ્વારા ટૂંકા સમયમાં ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવી શહેરમાં ગ્રીન કવર વધારવું- નેચર-બેસ્ડ સોલ્યુશન જેમ કે વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન ગાર્ડન, કંપોસ્ટ પિટ, અને બાયો-સ્વેલ સુવિધાઓ વિકસાવવી- ગ્રીન વેસ્ટનું સુચારુ કલેક્શન અને મેનેજમેન્ટ કરવું
આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર આજે શહેરી વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની ટીમે ઈસ્માઈલનગર, સામરખા ચોકડી વિસ્તાર અને બાકરોલ રોડ પરથી 12 પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલ્યા છે. જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓથી નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ પશુપાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તેઓ પોતાના પશુઓને યોગ્ય સ્થળે રાખે. મનપાએ જણાવ્યું છે કે, જો પશુઓ જાહેર રસ્તાઓ પર જોવા મળશે તો તેમને પકડીને પાંજરાપોળ મોકલવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત પશુપાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મનપાની આ કાર્યવાહીથી શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યા ઘટશે તેવી આશા છે.
આણંદને મહાનગરપાલિકા જાહેર કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ કરમસદ ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સામેલ કરવાના નિર્ણય સામે ગ્રામજનો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંદોલન સમિતિએ સ્વતંત્ર કરમસદ માટે જનમત સંગ્રહ અભિયાન શરૂ કર્યું છે. જેમાં મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને મનપામાં ભેળવવાનો વિરોધ કર્યો છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. આ પણ વાંચો, સ્વતંત્ર કરમસદ માટે સરદાર સન્માન સમિતિ મક્ક્મ પોસ્ટકાર્ડમાં શું લખ્યું છે?મુખ્યમંત્રીને મોકલવામાં આવેલ પોસ્ટકાર્ડમાં લખ્યું છે કે, સરદાર સાહેબના વતન કરમસદ ગામનો મહાનગરપાલિકામાં થયેલ સમાવેશના વિરોધમાં કરમસદ ગામ સ્વતંત્ર રહે અને સરદાર સાહેબના વતનની આગવી ઓળખ જળવાઈ રહે, તેનું આંદોલન તારીખ 5-1-2025 ના રોજથી ચાલી રહ્યું છે. પરંતુ કરમસદ ગ્રામજનોની આ યોગ્ય માંગને આજ દિન સુધી સરકાર તરફથી કોઈપણ પ્રત્યુતર મળેલ નથી. તેમજ આ માંગ સાથે ગાંધીજી માર્ગે ચાલતા 10 દિવસીય રાજકીય ધરણા પ્રદર્શન કાર્યક્રમને પણ પોલીસ દ્વારા બળજબરીપૂર્વક બંધ કરાવવામાં આવ્યાં હતાં. જેથી અમે કરમસદના ગ્રામજનો આ પત્ર દ્વારા આપને અપીલ કરીએ છીએ કે, સરદાર સાહેબના વતનની આગવી ઓળખ જળવાઈ રહે તે હેતુસર યોગ્ય ન્યાય કરશો. સરદાર સાહેબના વતન કરમસદને યોગ્ય ન્યાય નહીં મળે તો હું ભારતીય લોકતંત્રના કોઈપણ ચૂંટણીની મતદારી યાદીમાંથી મારું નામ રદ કરાવવા મજબૂર બનીશ. જનમત સંગ્રહ અભિયાન શરૂઆંદોલનને વધુ મજબૂત બનાવવા માટે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ સ્વતંત્ર કરમસદ માટે જનમત સંગ્રહ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત બાપેશ્વર મહાદેવ મંદિરના મંહત મધુસુદનગીરી મહારાજ અને સંતરામ મંદિરના મંહત મોરારીદાસ મહારાજ સહિત ગામના સામાજિક અને ધાર્મિક આગેવાનોએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી પોતાની માંગ રજૂ કરી છે. ચૂંટણીઓનાં બહિષ્કારની ચીમકીઆંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવામાં નહીં આવે, તો તેઓ લોકતાંત્રિક ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. સાથે જ પોતાના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા સુધીના પગલા ભરવાની પણ ચેતવણી આપી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકા નામ બદલાવરાજ્ય સરકારે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને કરમસદ-આણંદ મહાનગરપાલિકા રાખીને આંદોલન શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ નિર્ણયને પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ નકારી કાઢ્યો છે. સમિતિએ કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની માંગ સાથે આંદોલન યથાવત રાખ્યું છે. સરદારના વતન માટે સ્વતંત્રતાની માંગકરમસદના ગ્રામજનોનું માનવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના વતનને મહાનગરપાલિકામાં સામેલ કરવું એ તેમના સન્માનને ઠેસ પહોંચાડે છે. આંદોલનકારીઓનું કહેવું છે કે કરમસદને સ્વતંત્ર રાખવું એ માત્ર ગામની ઓળખ જ નહીં, પરંતુ સરદારના વારસાને જાળવવા માટે પણ જરૂરી છે. આંદોલન રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલઆંદોલનને કારણે રાજ્ય સરકાર માટે આ મુદ્દો રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ બની ગયો છે. કરમસદના ગ્રામજનોના આંદોલનને લોકોનું સમર્થન મળી રહ્યું છે, જે સરકાર માટે વધુ પડકારરૂપ બની શકે છે.
જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં ટીપી નંબર 7 સ્કીમ અંગે યોજાયેલી ઓનર્સ મીટિંગમાં ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. મીટિંગનું સ્થળ 8-9 કિલોમીટર દૂર રાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. મહેર સમાજમાં યોજાયેલી આ મીટિંગમાં 150થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂત આગેવાન જયેશ ધોરાજીયાએ જણાવ્યું કે, તેમની માગણી હતી કે મીટિંગ ટીપી વિસ્તારની નજીક રાખવામાં આવે, જેથી અધિકારીઓ સાથે સીધો સંવાદ થઈ શકે. લેખિત રજૂઆત છતાં આ માગણી સ્વીકારવામાં આવી નથી. ભારતીય કિસાન સંઘના મનસુખ પટોડીયાએ જણાવ્યું કે, મીટિંગમાં અવાજ પૂરતો સંભળાતો ન હોવાથી ખેડૂતોના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ થઈ શક્યા નથી. તેમણે મીટિંગ રદ કરવાની માગણી કરી છે. બીજી તરફ, જુડાના અધિકારી કે.વી.બી. બાટીએ સ્પષ્ટતા કરી છે કે, મીટિંગ રદ કરી શકાય નહીં. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર 2025ને શહેર વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે. જાન્યુઆરી 2025માં જાહેર કરાયેલી આ ટીપી સ્કીમ અંતર્ગત ખેડૂતોને સ્કીમની પ્રક્રિયા સમજાવવામાં આવી રહી છે. જુડાએ ખેડૂતોને તેમના પ્રશ્નો અને રજૂઆતો માટે 30 દિવસની મુદત આપી છે. આ સમયગાળામાં ખેડૂતો જુડા કચેરી ખાતે તેમની રજૂઆતો કરી શકશે.
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે હત્યાના ગુનામાં છેલ્લા નવ માસથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થયેલા આરોપીને આખરે ઝડપી પાડ્યો છે. આ આરોપી વરાછા પોલીસ સ્ટેશનના હત્યા કેસનો મુખ્ય આરોપી હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાનો કાચા કામનો કેદી નંબર: 1142/24 પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝા (ઉંમર 31 વર્ષ) લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો. પ્રકાશ ઓઝા પ્લોટ નંબર: 319, કમલપાર્ક સોસાયટી, લંબેહનુમાન રોડ, માતાવાડી, વરાછા, સુરતનો રહેવાસી છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના વઢવાણ ગામનો વતની છે. આ કેસ ડિસેમ્બર 2022નો છે, જ્યારે મૃતક ખુશાલ કેશુભાઈ કોઠારી (ઉંમર 47 વર્ષ) ને આરોપી પ્રકાશ ઉર્ફે અપ્પુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ખુશાલ કોઠારીએ આરોપીને માર માર્યો હતો. આ અદાવત રાખીને, પ્રકાશે તેના સહ-આરોપી હર્ષ ગામી સાથે મળીને ખુશાલ કોઠારી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ખુશાલ કોઠારીને શરીરના છાતીના ભાગે, ગળાની ડાબી અને જમણી બાજુએ, ડાબી તરફ પેટના ભાગે અને ડાબા પગની જાંઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ ફરાર થયો હતોગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના તારીખ 02 સપ્ટેમ્બર 2024 ના આદેશથી પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાને તારીખ 06 સપ્ટેમ્બર 2024 ના રોજ લાજપોર મધ્યસ્થ જેલમાંથી દસ દિવસની મુદત માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને તારીખ 17 સપ્ટેમ્બર 2024 ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે પરત હાજર થવાનું હતું, પરંતુ તે નિયત તારીખ અને સમયે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડછેલ્લા નવ મહિનાથી પોલીસને ચકમો આપી રહેલા પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે કાપોદ્રા યોગીચોક રોડ, સાયોના પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ શરૂ કરી છે.
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં ત્રણ ટ્રક સહિત અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે આ બ્રિજ દુર્ઘટનાને પોતાની નજરે જોનારા અને બ્રિજ પરથી ટેન્કરમાંથી કુદીને બહાર નીકળેલા ડ્રાઈવર સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. આ સમગ્ર ઘટનામાં લોકોને હજુ પણ આશ્ચર્ય છે કે, આ બ્રિજ ઉપર ઉભેલા ટેન્કરનો ડ્રાઈવર કોણ છે અને તે જીવે છે કે કેમ? આ ટેન્કર ડ્રાઈવર ક્યાં છે અને ટેન્કર કોનું છે? શા માટે હજી પણ આ ટેન્કર એ જ જગ્યાએ છે? આવા અનેક સવાલો ઘટનાના 10 દિવસ પછી પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે, ત્યારે દિવ્ય ભાસ્કરે આ અંગે ટેન્કરના માલિક અને ડ્રાઈવર સાથે ખાસ વાતચીત કરી હતી. મારી આગળ એક ગાડી જતી હતી ત્યાંથી જ અચાનક બ્રિજ તૂટી પડ્યોઆ અંગે ટેન્કર ડ્રાઈવર રવિન્દ્ર કુમાર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, હું અમદાવાદથી ટેન્કર ખાલી કરી અને દહેજ ભરવા માટે જઈ રહ્યો હતો. બ્રિજ પર થોડો ટ્રાફિક જોવા મળ્યો હતો અને હું ટ્રાફિકમાં હતો. આગળની લાઇન ધીરે ધીરે ચાલી રહી હતી. હું પણ ટ્રાફિકના કારણે બ્રેક લગાવી રહ્યો હતો. અચાનક જ સામેથી ટેન્કર આવી રહી હતી અને મારી આગળ એક ગાડી જઈ રહી હતી. ત્યાંથી જ અચાનક બ્રિજ તૂટી પડ્યો હતો. બે સેકન્ડની અંદર જ આખો બ્રિજ તૂટીને નીચે પડી ગયો હતો. સામેથી આવતું ટેન્કર મારી ગાડીને ટક્કર મારીને નીચે પડ્યું હતું. મારી ગાડી પણ ચાર પાંચ ફૂટ નીચે ઉતરી ગઈ હતી. હેન્ડબ્રેક મારી ગાડી રોકી અને હું કૂદી ગયો હતોવધુમાં જણાવ્યું કે, બ્રેક મારીને મેં ગાડી ઉભી રાખી પરંતુ મને લાગ્યું કે, હું પણ નીચે જઈ રહ્યા છું. મારી સામે વાળી ગાડી નીચે પડી તો હું પણ ચોંકી ગયો હતો. બેભાન જેવો થઈ ગયો અને 15 સેકન્ડ પછી મને હોશ આવતા જ મેં તાત્કાલિક હેન્ડબ્રેક લગાવી અને ગાડીને રોકી હતી. બાદમાં મેં ચાલુ ટેન્કરમાંથી બહાર નીકળવા માટે છલાંગ મારી હતી અને હું પણ નીચે જઈ રહ્યો હતો. બાદમાં હું કૂદી અને ઉપર આવી ગયો હતો. 'મેં બહાર નીકળી અને ફોન માગ્યો તો કોઈએ આપ્યો નહીં'વધુમાં જણાવ્યું કે, મને ત્યાં બે સેકન્ડમાં બધું જ જોયું કે જેટલા લોકો હતા એ બધા જ નીચે પડ્યા હતા અને 20થી 25 લોકો નીચે પડ્યા હોય તેવું જણાઈ રહ્યું હતું. ત્રણ ચાર ગાડીઓ પડી જેમાં ઇકો, મોટી ગાડીઓ જોઈ હતી અને બેભાન થઈ ગયો હતો. મેં બહાર નીકળી અને ફોન માગ્યો તો કોઈએ આપ્યો નહીં અને બધા વીડિયો બનાવવાનાં ચક્કરમાં કોઈ ફોન આપતું નહોતું. મેં મારા શેઠને ફોન કર્યો હતો અને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારનો સંપર્ક બે ત્રણ કલાક પછી કર્યો હતોઅડધો કલાક પછી મારી ટેન્કર બંધ કરવા માટે ગયો હતો. પહેલા જોયું કે બ્રિજ હલતો નથીને બાદમાં અમે બે વ્યક્તિ નજીક ગયા અને તેને હિંમત રાખીને બંધ કર્યો હતો. પરિવારનો સંપર્ક બે ત્રણ કલાક પછી કર્યો હતો. પરિવારને ખબર પડી ગઈ હતી કે, આ ગાડી હું ચલાવી રહ્યો છું. પરિવારને પણ આ બાબતની જાણ સમાચારના માધ્યમથી થઈ હતી. મને પોલીસ ચોકીમાં લઈ ગયા અને પછી મેં ઘરે આ ઘટના વિશે જણાવ્યું હતું. ગાડી બહાર નીકાળી આપો જેથી અમારી રોજી રોટી ચાલેઉપરવાળાની દયાથી હું બચી ગયો હતો તેનું વર્ણન કર્યું હતું. ત્યાં શું થયું હતું તે કંઈ ખબર નહોતી પડી. લોડેડ ગાડીઓ હતી. એક જગ્યા પર ત્રણ ગાડી લોડેડ ભેગી થઈ હતી અને આ ઘટના બની હતી. મહિનામાં લગભગ ત્રણથી ચાર વખત આવતો જતો રહું છું. મારી તંત્રને વિનંતી છે કે, બસ આ ગાડી બહાર નીકાળી આપો જેથી અમારી રોજી રોટી ચાલે. ગામથી આવ્યા પછી દસ દિવસ ગાડી ચલાવી અને આ ઘટના બની હતી. 10 દિવસથી આણંદ-વડોદરાની કચેરીઓના ધક્કા ખાઈએ છીએઆ ઘટનામાં બ્રિદ પર બચી ગયેલા અને હાલમાં લટકી રહેલું ટેન્કર શિવમ રોડલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર સ્થિત શિવલ રોડલાઈન્સ આશરે 12 વર્ષ જુની કંપની છે. આજે પણ આ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ અંગે શિવમ રોડલાઈન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાહેબ અમે છેલ્લા 10 દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છીએ. 'તમારા ટ્રકના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે'આણંદ સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર ઢોળી રહ્યા છે અને વડોદરાના અધિકારીઓ આણંદ પર ઢોળી રહ્યા છે. ધક્કા ખાઈને અમે થાકી ગયા છીએ. એક અધિકારીએ તો એવો જવાબ આપ્યો કે, હવે નવો બ્રિજ બને અને આ તોડી પાડવામાં આવે ત્યારે તમારો ટ્રક મળશે. આ ઉપરાંત એક અધિકારીએ તો એવો જવાબ આપ્યો કે, હેલિકોપ્ટરથી ટ્રક ખસેડવામાં આવે તેવી રજૂઆત પણ આર્મીને કરી પરંતુ કોઈ શક્યતા નથી કે, ટ્રક હમણાં ત્યાંથી ખસેડાય. તો અન્ય અધિકારીએ કહ્યું કે તમારા ટ્રકના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે. 10 દિવસે ગાડી મળી નથી અને મારે લોન ભરપાઈ કરવાની છેવધુમાં કહ્યું કે, મારી ગાડી દહેજમાં માલ ભરવા માટે જતી હતી. અચાનક આ બનાવ પોણા આઠ વાગ્યા આસપાસ બન્યો હતો અને ડ્રાઈવરનો કોલ મળ્યો હતો. તાત્કાલિક હું આ બાબતે સ્પોટ પર પહોંચ્યો હતો. મને ગાડી કાઢવાની તંત્રએ બાહેંધરી આપી હતી પરંતુ બે ત્રણ દિવસ પણ ન થતા તેઓએ તમામ રેસ્ક્યૂ કર્યા બાદ પણ હજુ 10 દિવસે ગાડી મળી નથી. મારે લોન ભરપાઈ કરવાની છે અને 45 લાખ જેટલી લોન છે. કલેક્ટરને રજૂઆત કરતા સોમવારે મળવાની વાત કરી છેસરકારી કચેરીઓના ધક્કા ખાઈ અને અધિકારીઓના ઉડાવ જવાબો સાંભળી થાકેલા રામાશંકર કહે છે કે, સદનસીબે મારી ટેન્કરના ડ્રાઈવરનો આ દુર્ઘટનામાં બચાવ થયો છે. મારે આ ટ્રક પર લોન છે દર મહિને મારે એક લાખ રૂપિયાનો બેંકનો હપ્તો છે. જો ટ્રક ચાલશે તો હું બેંકનો હપ્તો ભરી શકીશ. હવે નવો બ્રિજ બને ત્યાં સુધી અમારે ટેન્કરની રાહ જોવાની અને ટેન્કર ચાલે જ નહીં તો હું બેંકના હપ્તા કઈ રીતે ભરીશ? કલેક્ટરને રજૂઆત કરી છે અને સોમવારે મળવાની વાત કરી છે. ગંભીરા બ્રિજમાં ત્રણ દિવસમાં 21 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાઉલ્લેખનીય છે કે, 9 જુલાઈના બ્રિજ દુર્ઘટના બની તે દિવસે સવારથી લઈ રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યાર બાદ 10 જુલાઈના પૂનમ હોઈ, મહીમાં ભરતીના પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી, જોકે ઓટ આવ્યા બાદ રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતાં વધુ 5 મૃતદેહ મળતાં મૃત્યુઆંક 18 થયો હતો. ત્યાર બાદ 11 જુલાઈના રોજ 3 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી.
સેલવાસના યાત્રી નિવાસ નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે એક યુવક પોતાની મોપેડ પર મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેનું વાહન બંધ પડી ગયું હતું. યુવક મોપેડ ચાલુ કરવા કિક મારી રહ્યો હતો. આ દરમિયાન સ્પાર્ક થયો અને મોપેડે આગ પકડી લીધી હતી. આગની તીવ્રતા એટલી હતી કે, ગણતરીની મિનિટોમાં આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. રસ્તેથી પસાર થતા લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ મોપેડ સંપૂર્ણપણે સળગી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. સેલવાસ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં મોપેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટના વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં બની હતી.
સુરતના કતારગામમાં 19 વર્ષીય નેનુ વાવડિયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈ, 2025ના રોજ ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વાવડીયા પરિવારની એકની એક દીકરીએ અચાનક જીવન ટુંકાવતા પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. આ યુવતીએ એક સગીરની પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવતાં પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ આત્મહત્યા કેસમાં મૃતક યુવતીના પિતા રજની વાવડીયાએ એક યુવક પર ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે.તેમજ તેના પિતાને આ પહેલા જાણી કરી તો તેઓ પણ ધમકી આપવા લાગ્યા હતા. તેને કારણે નેનુએ આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલે હવે વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વીડિયો રીલિઝ કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ગૃહમંત્રીના શહેરમાં આ ઘટના બની હોવાથી ગંભીરતા વધી જાય તથા રાજ્યમાં ગુનેગારોમાં ડર પેદા કરવો જરૂરી છે. દીકરીઓ સ્વરક્ષા માટે પ્રતિકાર કરવા માટે 6 ઇંચથી નાનું ત્રિશુળ સાથે રાખે. 'અસમાજિક પરિબળો દીકરીઓ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે'આર.પી.પટેલે કહ્યું કે, સુરતની એક દીકરી નેનુએ 19 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. જે કોઈ જવાબદાર હોય, આ પ્રકારના અસમાજિક તત્ત્વ કે યુવાને આ દીકરી પર પ્રેશર લાવ્યું હશે અને તેના કારણે દીકરીએ આત્મહત્યા કરી હશે. આ એક આત્મહત્યા સમાજ અને સરકાર માટે પ્રશ્ન મૂકીને જાય છે. અસમાજિક પરિબળો દીકરીઓ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. જ્યારે તે મૂંઝવણ અનુભવે છે અને માર્ગ દેખાતો નથી ત્યારે આ પ્રકારનું પગલું ભરે છે. આ પણ વાંચો: પ્રાઈવેટ ટ્યુશન શિક્ષિકાએ ઘરે ગળે ફાંસો ખાધો, બ્લેકમેઈલ કરાતી હોવાના આક્ષેપ આપણને બધાને અપેક્ષા છે કે, આપણા ગૃહ મંત્રી યુવાન છે અને શક્તિશાળી છે. જ્યારે તેમના શહેરમાં આ પ્રકારની ઘટના બને ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. કાયદાનું પાલન જરૂરી છે અને સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે. કાયદાના ડર વિના આ પ્રકારના અસમાજિક અને લેભાગુ તત્ત્વો તથા કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે. પ્રેમમાં નિષ્ફળતા હોય, લવ જેહાદની બાબત હોય, જમીનના પ્રશ્નો હોય, પરિવારની સતામણી હોય આવા બધા પ્રશ્નોને લઈને ઘણીવાર પરિવાર પોતાનું જીવન ટૂંકાવે છે તો ઘણી વખત દીકરાઓ કે દીકરીઓ જીવન ટૂંકાવે છે ત્યારે સમાજ અને સરકાર માટે આ પ્રશ્ન બની જાય છે. સમાજના આગેવાનો સતત સમાજની ચિંતા કરે છે, એ સંજોગોમાં આવું થાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ તેનું દુઃખ થાય છે. મારે આજની યુવા પેઢીને કહેવું છે કે તમે શા માટે આપઘાત કરો છો? 'હિંસક તત્ત્વો વરૂના સ્વરૂપમાં ફરી રહ્યા હોય છે ત્યારે સ્વયં તૈયાર થવું'મારે દીકરીઓને કહેવું છે કે, તમે તમારા પર્સમાં સ્વરક્ષણ માટે 6 ઇંચથી પણ નાનું ત્રિશુળ રાખો. સ્વરક્ષા માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી. સમાજમાં અસમાજિક તત્વો, કેટલાક હિંસક તત્ત્વો વરૂના સ્વરૂપમાં ફરી રહ્યા હોય છે ત્યારે સ્વયં તૈયાર થવું. દીકરીઓને કહેવું છે કે, તમે દુર્ગા અને મહાકાળીનું સ્વરૂપ છો એ સંજોગોમાં આપઘાત ન કરો. પરિસ્થિતિથી ભાગો નહીં, ડરો નહીં. પ્રતિકાર કરવાની માનસિકતા બનાવો. આ પણ વાંચો: આરોપી પિતા-પુત્રએ યુવતીના પિતાને કહ્યું હતું- 'અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ' 'ગુજરાતમાં કાયદાનો ડર પેદા થવો જોઇએ'આ કોઈ એક સમાજના પ્રશ્નને લઈ મૂલવી ન શકાય. સમગ્ર સમાજની આ એક દીકરી છે, નારી શક્તિ છે. એક નારી શક્તિ સાથે થયેલું અપમાન છે. નારી સાથે થયેલું આ પ્રકારનું વર્તન અને થયેલું પ્રેશર જો આપઘાતનું કારણ બનતું હોય તો એવા તત્ત્વોને કડક સજા થવી જોઇએ. ગુજરાતમાં કાયદાનો ડર પેદા થવો જોઇએ. ભારતના એક રાજ્યમાં આ પ્રકારનો ખૌફ ઉભો થયો છે અને તેના કારણે ઘણાં અસામાજિક તત્ત્વો રાજ્ય છોડીને જતા રહ્યા છે, આવો જ ડર અને ખૌફ ગુજરાતમાં પણ યુવા પેઢીને સુરક્ષિત કરવા ઉભો થાય તો જ આ પ્રકારની ઘટનાઓ અટકી શકશે. આ પણ વાંચો: ખોડલધામ સહિત 5 સંસ્થાના CMને પત્ર, હિરા ઉદ્યોગપતિ લાલજી પટેલ સહિત 3 અગ્રણીની સુરત CPને રજૂઆત 'આ પ્રકારના પ્રશ્નો પેદા થાય તો સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનોને મળો'મારે યુવા પેઢીને કહેવું છે કે, જ્યારે જ્યારે આ પ્રકારના પ્રશ્નો પેદા થાય તો દરેક શહેરમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ છે. તમે તેના આગેવાનોને મળો, આગેવાનો તમને મદદ કરવા તત્પર છે એને જઈને પ્રશ્ન કહો, અને એમ છતાં તમારા પ્રશ્નનો ઉકેલ ન આવે તો સ્વપ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો, ડરીને આત્મહત્યા કરવાની નહીં. આપણે ક્યારેય ડરવું નથી, કોઈ આપણા પર ખરાબ દ્રષ્ટી નાંખે છે તો તેને એની જ ભાષામાં જવાબ આપવો પડશે. સરકારને મારી નમ્ર વિનંતિ છે કે, આની પાછળ જે જવાબદાર છે તેની સામે કડકમાં કડક સજા થવી જોઇએ. એક દાખલો બેસવો જોઈએ. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટનો CMને પત્રઆ મામલે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આરોપી વિરુધ્ધ કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી છે. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ ટ્રસ્ટના માનદમંત્રી ઉકાભાઇ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, તાજેતરમાં સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 19 વર્ષની માસૂમ દીકરી નેનુ રજનીભાઈ વાવડીયાએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. આ આત્માહત્યા પાછળનું કારણ કતારગામ વિસ્તારના વિકૃત મગજ ધરાવતો શખ્સ દીકરીને વારંવાર છેડતી, માનસિક ત્રાસ અને બ્લેકમેલ અને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. આવા અસામાજિક શખ્સો ને નાથવા માટે રાજય સરકાર દરેક સમાજની દીકરીઓની સલામતી માટે ખૂબ જ સજાગ બની હરહંમેશ ને માટે લાગણી સાથે દરેકની ચિંતા કરી ગંભીરતાથી કામ કરી રહી છે. મૃતક યુવતી નેનુ વાવડીયાના પરીવારને ઝડપી ન્યાય મળે અને આવા આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી ગુજરાતમાં એક દાખલો બેસે અને આવા તત્વો આવું કૃત્ય કરતાં પહેલા સો વખત વિચાર કરે અને યુવાનીના ઉંબરે ઉભેલી દરેક સમાજની દીકરીઓને ક્યારેય આવા પગલાં ભરવા માટે મજબૂર ન થવું પડે. આવું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે ટ્રસ્ટ મંડળની લાગણી અને માગણી છે. આ પણ વાંચો: ચેટ વાઈરલ કરનાર શખસો સામે કાર્યવાહીની મૃતકના પિતાની માગ, યુવકે તમામ પ્લેટફોર્મ પર યુવતીને બ્લોક કર્યાનો રબારી સમાજનો દાવો 14 જુલાઈએ પંખે લટકી ગઈ નેનુકતારગામના વિધિ પેલેસમાં 19 વર્ષીય નેના રણજીતભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે. પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નેનુ સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણી પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. 14 જુલાઈની સાંજે ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. પરિવારનો યુવક પર ત્રાસ આપવાનો આક્ષેપનેનુ વાવડીયાએ આપઘાત કર્યા બાદ પરિવારજનોએ મિત (નામ બદલેલું છે) નામનો યુવક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક મિત અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. ત્યાર બાદ આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે પુત્રની પણ અટકાયત કરી હતી. આપઘાત કરનાર યુવતીનો મોબાઇલ ટેકનિકલ વિશ્લેષણ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે, જેથી મેસેજ, કોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા છે. આરોપી પિતાના 17 જુલાઈના રોજ એક દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં આરોપીના વધારાના રિમાન્ડ નહીં મંગાતા તેને જેલ હવાલે કરાયા હતા. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયા હાજર રહ્યા હતા.બીજી તરફે સિંગણપોર પીઆઇએ આજે જુવેનાઇલ કોર્ટમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પુખ્તતા ચકાસવા અ્ને પુખ્ત ગણી ટ્રાયલ ચલાવવા અરજી કરી હતી. પીઆઇએ કહ્યુ કે કિશોરની જન્મ તારીખ 22મી જુુલાઇ, 2007 છે અને 18 વર્ષ પુરા થવામાં તેને હજી 7 દિવસ બાકી હતા ત્યારે ગુનો નોંધાયો હતો. પુખ્ત છે કે નહી એ ચકાસણી માટે જ અરજી કરાઈ છે.નોંધનીય છે કે હવે સાયકિયાટ્રિસ્ટ પાસે કિશોરની ચકાસણી થશે અને ત્યારબાદના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. આ પણ વાંચો: પાટીદાર શિક્ષિકાને ન્યાય અપાવવા વિશાળ કેન્ડલ માર્ચ ખોડલધામ સહિતની સંસ્થાઓની CMને પત્ર લખી ન્યાયની માંગકતારગામની 19 વર્ષીય શિક્ષિકા નેનુ વાવડીયાના આપઘાત મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક કિશોરની બ્લેકમેલિંગથી કંટાળીને નેનુએ આત્મહત્યા કર્યાનું સામે આવતાં સમાજના આગેવાનોએ તેમજ સરદારધામ, ખોડલધામ, સમસ્ત પાટીદાર સમાજ, સરદાર પટેલ સેવાદળ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્ટ, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતા સંસ્થાન,ઉંઝાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. મથુર સવાણી, વેલજી શેટા, મુકેશ પટેલ, લાલજી પટેલ, કેશુ ગોટી સહિતના આગેવાનોએ સુરત પોલીસ કમિશનરને રજુઆત કરી હતી.
છોટા ઉદેપુર નગરના પાંજરાપોળ વિસ્તારમાં આરસીસી રસ્તાની સ્થિતિ ચિંતાજનક બની છે. ચોમાસાની ઋતુમાં રસ્તા સંપૂર્ણપણે તૂટી ગયા છે અને રસ્તામાંથી લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારે વાહનોની અવરજવર વધી છે. સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. તેઓએ અકસ્માત નિવારવા માટે રસ્તા પર બમ્પ મૂકવાની માંગણી કરી છે. નગરપાલિકાના એન્જિનિયરના જણાવ્યા અનુસાર, અગાઉ ખાડા પૂરવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાફિક ડાયવર્ટ થવાને કારણે રસ્તો ફરી તૂટી ગયો છે. તેમણે તાત્કાલિક મરામત માટે કર્મચારીઓને મોકલવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે નગરપાલિકાનું તંત્ર આ સમસ્યા પ્રત્યે ઉદાસીન રહ્યું હતું. માત્ર મીડિયાએ પ્રશ્ન ઉઠાવ્યા બાદ જ તંત્ર સક્રિય થયું છે અને રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવાની જાહેરાત કરી છે.
વિજાપુરમાં લગ્નના નામે ઠગાઈ:43 વર્ષીય ખેડૂત પાસેથી 2.50 લાખ પડાવી દુલ્હન ફરાર, ચાર સામે ફરિયાદ
વિજાપુર તાલુકાના એક ગામમાં લગ્નના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. 43 વર્ષીય ખેડૂત સાથે રૂ. 2.50 લાખમાં લગ્ન નક્કી કરીને દુલ્હન ફરાર થઈ ગઈ છે. આ મામલે લાડોલ પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવક તેની માતા સાથે રહે છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. 2003માં સામાજિક કારણોસર તેમના પ્રથમ લગ્નજીવનનો અંત આવ્યો હતો. માતાની દેખરેખ માટે તેમણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મહિના પહેલા તેમના કાકાની મુલાકાત ઘેઘૂ ગામની એક મહિલા સાથે થઈ હતી. જેઓએ અમદાવાદની સોનિયા નામની મહિલા સાથે લગ્ન કરાવવાની વાત કરી. ત્યારબાદ જશોદાનગરમાં સોનિયા અને ગંગાબેન સાથે મુલાકાત થઈ. લગ્ન માટે જશીબેન અને ગંગાબેને રૂ. 2.50 લાખની માગણી કરી હતી. યુવકે પ્રથમ હપ્તા પેટે રૂ. 21 હજાર ચૂકવ્યા. 9 મે 2025ના રોજ લગ્ન થયા બાદ યુવતીને યુવકના ગામમાં લાવવામાં આવી હતી. થોડા સમય બાદ જશીબેન અને ગંગાબેને સોનિયાના ભાઈના એક્સિડન્ટનું બહાનું બનાવીને તેને અમદાવાદ લઈ ગયા હતા. ત્યારબાદ સોનિયા ફરાર થઈ ગઈ હતી.
ભરૂચ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વચ્ચે નારાયણ એરેના અપાર્ટમેન્ટના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ વિભાગની ટીમ જ્યારે અપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચી ત્યારે સ્થાનિકોએ થાળીઓ વગાડીને વિરોધ કર્યો હતો. વીજ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ભરૂચ શહેરમાં લગભગ 15 હજાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જૂના મીટર બદલીને નવા સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા જણાવ્યું કે, તેમને સ્માર્ટ મીટરની જરૂર નથી. રહીશોનું કહેવું છે કે, સરકાર પહેલા શાળાઓ અને રસ્તાઓને સ્માર્ટ બનાવે. સ્થાનિક રહેવાસી ખુશ્બુ મોદીએ જણાવ્યું કે, વીજ વિભાગના કર્મચારીઓ મહિનામાં 5-6 વખત સ્માર્ટ મીટર લગાવવા આવે છે. અગાઉ પોલીસને સાથે લઈને પણ આવ્યા હતા. માત્ર સાત વર્ષ જૂની આ સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કર્યો છે. વિરોધને પગલે વીજ વિભાગના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવ્યા વગર પરત ફર્યા હતા. શહેરમાં કેટલાક લોકો સ્માર્ટ મીટર સ્વીકારી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ:પ્રેમલગ્ન બાદ પતિ-સાસરિયાએ દહેજ માટે ત્રાસ આપી યુવતીને ઘરમાંથી કાઢી મૂકી
ગાંધીનગરના સેક્ટર 4ની 25 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ મથકે દહેજ પીડનની ફરિયાદ નોંધાવી છે. યુવતી ઈન્ફોસિટીની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ત્યાં તેની મુલાકાત એક યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી જાન્યુઆરી 2024માં પરિવારની સંમતિથી તેમણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શરૂઆતમાં બધું સારું ચાલ્યું. પરંતુ પછી સાસુએ ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતી ઉત્તર પ્રદેશની હોવાથી સાસરિયાઓને તે પસંદ નહોતી. તેઓએ દહેજની માગણી શરૂ કરી. યુવતી દર મહિને પોતાના પગારમાંથી પાંચ હજાર રૂપિયા પતિને આપતી હતી. પતિએ પિયરમાંથી બુલેટ મોટરસાઇકલ અને પાંચ લાખ રૂપિયાની માગણી કરી. સાસુ દંપતીના વૈવાહિક જીવનમાં દખલ કરતા હતા. તેઓ રાત્રે દંપતીનું ચેકિંગ કરતા. લગ્નના અઢી મહિના બાદ સાસુએ કપડાંની માગણી કરી. યુવતીને મેણાં-ટોણાં મારીને દાગીના લઈને રાત્રે ઘરમાંથી કાઢી મૂકી હતી. છેલ્લા એક વર્ષથી યુવતી પિયરમાં રહે છે. પતિએ ફોન પર કહ્યું કે, તે તેની સાથે રહેવા નથી ઈચ્છતો. તાજેતરમાં રિલાયન્સ ચોકડી પર યુવતીએ પતિને અન્ય યુવતી સાથે જોયો હતો. પૂછપરછ કરતાં પતિએ તે યુવતીનું નામ જણાવી ઝઘડો કર્યો હતો. સાસુ-સસરાને બોલાવીને યુવતી સાથે મારઝૂડ કરી અને તેના માતા-પિતાને ગાળો આપી હતી.
બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત કાણોદર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે નિયુક્તિ પત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધોરણ 1 થી 5 માટે પસંદ થયેલા 490 વિદ્યા સહાયક શિક્ષકોને નિયુક્તિ પત્રો આપ્યા હતા. અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બાળકોનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં છે. છેવાડાના ગામડાના બાળકો સરકારી સેવાઓ સહિત અનેક ક્ષેત્રમાં આગળ વધ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા સતત પ્રયત્નશીલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલે માહિતી આપી કે, આ નિમણૂકોથી વાવ, સુઈગામ, થરાદ, ધાનેરા, ભાભર અને દિયોદર તાલુકાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે. તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં ધોરણ 6 થી 8માં પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ આ વૃક્ષારોપણ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. હેડક્વાર્ટર પરિસરમાં પહેલેથી જ ઘણા વૃક્ષો છે. આજે વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કાર્યક્રમમાં DYSP મહર્ષિ રાવલ, DYSP એ.એ. સૈયદ અને LCB PI સોલંકી સહિત પોલીસ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા. આ વર્ષે સારા વરસાદને કારણે વૃક્ષારોપણ માટે યોગ્ય વાતાવરણ સર્જાયું છે. જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.
રાધનપુરમાં મહિલા પર હુમલો:બે શખ્સોએ ગાડીમાં બેસવા દબાણ કર્યું, માર માર્યો; ગુનો દાખલ
રાધનપુર શહેરમાં એક મહિલા સાથે મારપીટ અને ધમકીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મહિલા પોતાના માતા-પિતાના ઘરે હાજર હતા, ત્યારે ગાંધીધામના જયપ્રકાશ સૂર્યકાંતભાઈ કલવાણી અને પરેશભાઈ નામના બે શખ્સો ગાડી લઈને ત્યાં આવ્યા હતા. આરોપીઓએ મહિલાને અપશબ્દો કહ્યા અને ગાડીમાં બેસવાનું દબાણ કર્યું હતું. મહિલાના ઈનકાર બાદ બંને શખ્સોએ તેમના પર શારીરિક હુમલો કર્યો હતો. આરોપીઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિત મહિલાએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351, 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી બ્રિજ દુર્ઘટનામાં 133 લોકોના જીવ ગયા હતા. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજે યોજાયેલી સુનાવણી દરમિયાન વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. હાઈકોર્ટે કટાક્ષ કર્યો હતો કે, ચોમાસા પહેલા બ્રિજનું ઈન્સપેક્શન થયું હતું તો શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઈન્સપેક્શન કરાયું અને તેમાં રાજ્યમાં 133 બ્રિજ બંધ કરવામાં આવ્યા? કોર્ટે આરએન્ડીબી વિભાગની કામગીરીને લઈ નારાજગી વ્યકત કરી હતી. ગંભીરા બ્રિજ તુટવા મુદ્દે એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું- 'વેરી સોરી માય લોર્ડ' ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીહાઇકોર્ટે તાજેતરમાં બનેલ વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે નારાજગી વ્યકત કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ દરેક બ્રિજ ચેક કરાયા હતા અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ વર્ષ 2023માં મૂકવામાં આવ્યો હતો. જે મુજબ દર ચોમાસા પહેલા બ્રિજ ચેક કરવાના હોય છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સરકારે દરેક અધિકારીઓને બોલાવી ઇન્સ્પેક્શન રિપોર્ટ મંગાવ્યા છે તેને ફરીથી જોવામાં આવશે. ચોમાસા પહેલા અને પછી બ્રિજની તપાસ કરવામાં આવે જ છે. ગંભીરા બ્રિજની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું- 'વેરી સોરી માય લોર્ડ'એડવોકેટ જનરલે કહ્યું વર્ષમાં બે વખત બ્રિજના ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. વડોદરા બ્રિજ દુર્ઘટના અંગે રાજ્ય સરકાર વતી પક્ષ મુક્ત એડવોકેટ જનરલે વેરી સોરી માય લોર્ડ કહીને કોર્ટની માફી માંગી હતી. હાઇકોર્ટે કટાક્ષ કર્યો હતો કે ચોમાસા પહેલાનું બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, તો શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઇન્સ્પેક્શન કરાયું તેમ રાજ્યમાં 133 બ્રિજ બંધ કરાયા છે ! હાઈકોર્ટે સવાલ કરી કહ્યું- મોરબી બ્રિજ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાયા?ગત સુનાવણીમાં હાઇકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લેવાયા? તેનો રીપોર્ટ માંગ્યો હતો. જેમાં આજે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને સંદીપ ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા. તેમની સામે ખાતાકીય તપાસ કરીને ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. તેનો રિપોર્ટ અપાયો હતો, અધિકારીને પોતાની સ્પષ્ટતા કરવા રજૂઆતની પૂરતી તક આપવામાં આવી હતી. તેઓ તપાસના અંતે દોષિત ઠર્યા છે. 16 જુલાઈ, 2025ના રોજ GPSC સિવિલ સર્વિસ રૂલ મુજબ તેમને ભારે દંડ કરવા ભલામણ કરવામાં આવી છે. દંડ માટે GPSC સાથે સંપર્ક કરાશે. દંડમાં તેમને હાલમાં મળવાપાત્ર પગાર ધોરણ કરતા ત્રણ પગાર ધોરણ નીચે મુકાશે અને આગામી ત્રણ વર્ષ દરમિયાન તેમને મળતા વાર્ષિક ઈજાફા પર રોક લગાવવા ભલામણ કરવામાં આવી છે. ત્યારબાદ તેમને મળતા છેલ્લા પગાર ધોરણ મુજબ જ ઇજાફો મળશે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ નગરપાલિકાને સુપરસીડ કરાઈ હતી. હવે તે મહાનગર પાલિકા બની ચૂકી છે. મોરબી બ્રિજના પીડિતોને વળતર ચૂકવવા એક ટ્રસ્ટની રચના કરાઈ છે. કોર્ટ મિત્ર ટ્રસ્ટની કામગીરીનો રિપોર્ટ આપશે. પીડિત પક્ષ તરફથી ઓરેવા કંપની પાસેથી એક્ઝેમ્પ્લરી ડેમેજિસની માંગ કરાઈ છે. આગામી સમયમાં સરકારે લીધેલ પગલાંઓ રિપોર્ટ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ મૃતક દીઠ 2 કરોડના વળતરની માંગ કરી છે. આ મુદ્દે વધુ સુનાવણી ઓગસ્ટ મહિનામાં યોજાશે. ગત સુનાવણીમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, વળતર મુદ્દે કોર્ટના નિર્દેશો મુજબ પીડિતોની સંભાળ રાખવામાં આવી રહી છે. વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને લઈને વળતર ચૂકવનાર અને પીડિતો વચ્ચે કરારો થઈ ચૂક્યા છે.ત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે, આ દુર્ઘટના બાદ SITનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તે રીપોર્ટ મુજબ જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવ્યા છે ? જેના જવાબમાં એડવોકેટ જનરલે વિસ્તૃત એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવા માટે સમયની માંગ કરી હતી.
સિદ્ધપુરમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ:મોબાઈલ એપ દ્વારા સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, ID આપનાર ફરાર
સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં પોલીસે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. બસ સ્ટેશન નજીક રહેતા 56 વર્ષીય પટેલ અશ્વિન પરષોત્તમભાઈને ક્રિકેટ સટ્ટો રમતા પકડી પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ચેતન નામના વ્યક્તિ પાસેથી allpanelexch.app નામની એપ્લિકેશનની ID મેળવી હતી. અશ્વિનભાઈ Guyana Amazon Warriors અને Hobart Hurricanes વચ્ચેની મેચમાં વિવિધ ઓવરના સેશન્સ પર સટ્ટો રમી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. જો કે, સટ્ટાની ID આપનાર ચેતન ઘટનાસ્થળે હાજર ન મળતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. સિદ્ધપુર પોલીસે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં જુગાર પ્રતિબંધિત હોવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોટા બારમણ ગામ નજીક એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પાણી પુરવઠા વિભાગની 10 લાખ લીટર ક્ષમતાની પાણી ભરેલી ટાંકી અચાનક ધરાશાયી થઈ ગઈ. આ ઘટનાને કારણે ખાંભા-નાગેશ્રી હાઈવે પર પાણી ફરી વળ્યું છે. ટાંકી તૂટી પડવાના કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ, મામલતદાર અને પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. સ્થાનિક આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણી પુરવઠા વિભાગના અધિકારી ભૌતિક ઢાંકેચાના જણાવ્યા અનુસાર, આ ટાંકી લગભગ 20 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ટાંકી કોણે બનાવી હતી અને શા માટે અચાનક ધરાશાયી થઈ તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
છોટા ઉદેપુર જિલ્લા એલસીબીએ કાનાવાંટ રજુવાંટ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે અતુલ શક્તિ થ્રી વ્હીલર છકડા અને સુઝુકી સ્કૂટર પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન છકડાના પાછળના ભાગમાં ખાસ બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. સ્કૂટર પર પણ છૂટી બોટલો લઈ જવાતી હતી. પોલીસે કુલ 1188 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે, જેની કિંમત રૂ. 3,05,496 છે. પકડાયેલા આરોપીઓમાં છકડા ચાલક અર્જુનભાઈ બારિયા (હાલોલ), સતિષભાઈ કટારા (હાલોલ), સ્કૂટી ચાલક મહીરખાન પઠાણ (પાવી જેતપુર) અને વિષ્ણુભાઈ રાઠવા (મોટી ઝેર)નો સમાવેશ થાય છે. પોલીસે દારૂ ઉપરાંત છકડો, સ્કૂટી, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 5,01,996નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં BRTS રૂટ પર ચાલીને જતા મહિલાને બસે અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. શહેરના બિગબજાર પાસે કપડાના શો રૂમમાં કામ કરતા મહિલાને કામ અર્થે જવાની ઉતાવળ હોવાથી BRTS રૂટ પરથી રસ્તો ક્રોસ કરીને જતા હતા તે સમયે પસાર થતી BRTSના ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલાને માથામાં લોહી નીકળતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બાબતે કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે, મહિલા BRTS રૂટ ઉપરથી ચાલીને જતા હતા તે તેમની ભૂલ છે. જોકે ડ્રાઇવરે ખૂબ જ કંટ્રોલ કરી બ્રેક મારી બસ અટકાવી દેતા મહિલા બચી ગયા હતા. BRTS બસે અડફેટે લેતા મહિલાને સારવાર માટે ખસેડાયાપ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મોરબી હાઉસ પાસે રહેતા 37 વર્ષીય ઉર્મીબેન ગોરધનભાઈ ચૌહાણ સવારે 10 વાગ્યે 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર પાસે કપડાના શો રૂમમાં કામ કરતા હોવાથી ત્યા BRTS રૂટ ઉપરથી રસ્તો ક્રોસ કરી જતા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી સિટી બસ (GJ 03 BY 0677) ના ચાલકે અચાનક બ્રેક મારવી પડી હતી. જોકે તેમ છતાં પણ આ મહિલા BRTS રૂટ પર હોવાથી અડફેટે આવી ગયા હતા અને તેમને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. બાદમાં આ મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બાબતે તેમના પતિ ગોરધનભાઈએ જણાવ્યું હતું કે મારા પત્ની બિગબજાર પાસે કપડાના શોરૂમમાં કામ કરે છે અને હું પણ કામ પર હતો ત્યારે આ ઘટના બની છે. હાલ હું હોસ્પિટલે છું. મારી પત્નીને માથામાં ઈજા થઈ છે પરંતુ અન્ય જગ્યાએ કંઈ થયું નથી. મહિલાનો વાંક હતો કારણ કે તે BRTS રૂટ પરથી રસ્તો ઓળંગી સામે જતા હતાજ્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર પી. ડી. અઢીયાએ જણાવ્યું હતું કે, બિગબજાર પાસે જે ઘટના બની તેમાં મહિલાનો વાંક હતો કારણ કે તે BRTS રૂટ ઉપરથી રસ્તો ઓળંગી અને સામેની તરફ જઈ રહ્યા હતા. આ મહિલાને BRTS રૂટ ઉપરથી જતા રોકવામાં પણ આવ્યા હતા પરંતુ તેઓ રોકાયા નહોતા અને ત્યારબાદ BRTS રોડ પરથી રસ્તો ઓળંગવા જતા ઇજાગ્રસ્ત થયા હતા તેથી આ ઘટનામાં ડ્રાઇવરનો કોઈ વાંક નથી.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે આજે સુરતની મુલાકાત લીધી હતી. DGP સહાયે સૌપ્રથમ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે CCTV કંટ્રોલરૂમની ઝીણવટભરી તપાસ કરી અને શહેરભરમાં નજર રાખવા માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીની જાણકારી મળેવી હતી. ઉલ્લેખનીય છે કે, DGP વિકાસ સહાયની આ મુલાકાતનો મુખ્ય હેતુ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ, પોલીસ કામગીરીની સમિક્ષા અને નાગરિકોની રજૂઆતો સાંભળવાનો હતો, ત્યારે ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતીDGP વિકાસ સહાયે કંટ્રોલરૂમની કાર્યપ્રણાલી અને ગુનાખોરી નિયંત્રણમાં તેની ભૂમિકા વિશે તેમણે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્યાર બાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે તેમની સાથે એક બેઠક યોજી. આ બેઠકમાં શહેરની કાયદો અને વ્યવસ્થા, ગુનાખોરીના આંકડા, ટ્રાફિક વ્યવસ્થાપન અને અન્ય મહત્વપૂર્ણ પોલીસ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી. DGP સહાયનો અરજદારો સાથે સીધો સંવાદDGP વિકાસ સહાયની મુલાકાતનું એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા અરજદારો સાથે સીધો સંવાદ કર્યો. તેમણે વ્યક્તિગત રીતે અરજદારોની વાત સાંભળી અને તેમની રજૂઆતોને ગંભીરતાપૂર્વક નોંધી. આ ઉપરાંત, તેમણે પોલીસ સ્ટેશનોમાં અરજદારોની રજૂઆતો કઈ રીતે સાંભળવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવે છે, તે અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી. આ પગલું પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક સકારાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમનું લાઈવ ડેમોસ્ટ્રેશનDGP સહાયે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી અને કઈ રીતે કંટ્રોલરૂમથી સૂચનાઓ આપવામાં આવે છે અને ત્યારબાદ ટ્રાફિક પોઈન્ટ પર તેનું સંચાલન કરવામાં આવે છે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી. એટલું જ નહીં, તેમણે પોતે કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક પોઈન્ટ પર સૂચના આપી હતી અને ત્યાર બાદ પોતે જ ટ્રાફિક પોઈન્ટ પર જઈને આ સૂચના કેટલી અસરકારક રીતે સંભળાય છે અને ફિલ્ડ પર ટ્રાફિક જવાનો કઈ રીતે તે મુજબ કામ કરે છે તેની પણ જાણકારી મેળવી. આ પહેલથી ફિલ્ડ પરની કામગીરીની વાસ્તવિકતા સમજવામાં મદદ મળી હતી. સુરતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, DGP વિકાસ સહાય ડાંગ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ DGP કોન્ફરન્સમાં ભાગ લેવાના છે.
ડાંગ જિલ્લામાં શિક્ષણ વિભાગની કથિત બેદરકારીના કારણે મોટો વિવાદ સર્જાયો છે. જિલ્લા પંચાયત હસ્તકના 14 આદિવાસી કુમાર અને કન્યા છાત્રાલયો બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસે આજે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ ઘટાડવાના નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આગામી 8 દિવસમાં આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ છાત્રાલયોને તાળાબંધી કરીને આંદોલન કરશે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓના હિતની રક્ષા માટે તેઓ દરેક સ્તરે લડત આપશે.
આગામી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરતના માંડવી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ આજે સોનગઢ નગરપાલિકાના હોલમાં બેઠક યોજી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને કાર્યક્રમના સફળ આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી હળપતિએ તમામ અધિકારીઓને કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું હતું. બેઠકમાં મહેસૂલ, પોલીસ, વન વિભાગ, પંચાયત અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, સ્વસહાય જૂથના લાભાર્થીઓ, મંડળીના હોદ્દેદારો, ગ્રામસેવકો અને ગામના સરપંચો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીમાં ઇકોમાં શોર્ટ સર્કિટથી આગ:મણીનગર સોસાયટી પાસે ઘટના, ડ્રાઇવરનો આબાદ બચાવ
નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલ મણીનગર સોસાયટી પાસે એક ઇકો વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે વાહનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. વાહનમાંથી ધુમાડા સાથે આગના ગોટા નીકળતા જોઈને, ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તરત જ વાહન છોડી દીધું હતું. આ સતર્કતાને કારણે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય છે કે નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે.
ગરબાડા ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શરદભાઈ ડામોરની દેખરેખમાં યોજાયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર-7ના મહિલા સભ્ય લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગ્રામ પંચાયતના કુલ 12 સભ્યોમાંથી 11 સભ્યો હાજર રહ્યા હતા. લીલાબેન સિવાય અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. આ પહેલા સરપંચ પદે ઉર્વીશાબેન પ્રજીતસિંહ રાઠોડની પેનલે 12માંથી 11 સભ્યોના સમર્થન સાથે વિજય મેળવ્યો હતો. ગરબાડા ગ્રામ પંચાયતમાં પહેલી વખત સરપંચ અને ઉપસરપંચ બંને પદો મહિલાઓના હાથમાં આવ્યા છે. ગામના લોકોએ આ નવી જોડીને ઉત્સાહભેર વધાવી લીધી છે. આ મહિલા નેતૃત્વ પાસે ગામના રોડ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુખ્ય મુદ્દાઓ પર કામ કરવાની અપેક્ષા છે. ગામવાસીઓ માને છે કે આ નવી જોડી ગરબાડાના વિકાસને નવી દિશા આપશે. મહિલા નેતૃત્વ સાથે ગામના વિકાસની જવાબદારી હવે સક્ષમ હાથોમાં છે. આગામી સમયમાં આ નવી જોડી ગામના વિકાસ માટે કેવા પગલાં લે છે તે જોવું રસપ્રદ રહેશે.
પેદાશપુરા ગામની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 હેલ્પલાઇન પર કોલ કરવામાં આવ્યો હતો. વારાહી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસના EMT સુધીરદાન ગઢવી અને પાઇલોટ નસીબ ખાન તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દર્દીને રાધનપુર સરકારી હોસ્પિટલ લઈ જતી વખતે હોસ્પિટલના ગેટ નજીક સગર્ભાની સ્થિતિ ગંભીર બની હતી. EMT સુધીરદાન ગઢવીએ અમદાવાદના 108ના ઇમરજન્સી ERCp ડૉક્ટર ક્રિષ્ના મેડમની સલાહ લીધી હતી. તપાસ દરમિયાન 'શોલ્ડર ડિસ્ટોસિયા'નો કેસ જણાતા, EMTએ ખાસ ટેકનિક અને ડિલિવરી કીટનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. માતા અને નવજાત બાળકીને વધુ સારવાર માટે રાધનપુરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ ટીમની ત્વરિત કાર્યવાહીથી માતા અને બાળકીનો જીવ બચી ગયો હતો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નીતિન ગોરાદરાએ ટીમની આ કામગીરીને બિરદાવી હતી.
પાટણમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા:યશ ધામ ફ્લેટમાંથી રોકડ સહિત 67 હજારનો મુદ્દામાલ જપ્ત
પાટણ એલસીબી પોલીસે શહેરના યશ ધામ ફ્લેટમાં દરોડો પાડીને તીન પત્તી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. યશ ધામ ફ્લેટના બ્લોક એ-11માં રહેતા નિલેશભાઈ ત્રિવેદીના ઘરે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નિલેશભાઈ સહિત રાજેશભાઈ દવે, કિરણભાઈ દવે, કરણકુમાર દરજી, હર્ષ રાજગોર અને અમિત દરજીને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 20,300, કિંમત રૂ. 17,000ના 4 મોબાઈલ ફોન, કિંમત રૂ. 30,000ની 3 મોટરસાઈકલ અને 52 ગંજીપાના મળી કુલ રૂ. 67,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડ્યા છે. આ બિસ્માર રસ્તાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઑફ યુનિટીથી રાજપીપળા સુધીનો માર્ગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર એસ. એચ. મોદીના જણાવ્યા અનુસાર, હાલ ખાડા પૂરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં પણ ખાડા જોવા મળશે, ત્યાં તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રવાસીઓના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. ખાડા માં વાહન પડતા બગડી ગઈ હતી. લોકોએ તંત્ર પાસે રસ્તાની તાત્કાલિક મરામતની માંગણી કરી છે. નર્મદા જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં રસ્તાઓની મરામતનું કામ ચાલી રહ્યું છે. તો આ રસ્તો પણ વહેલી તકે બને તેવી માંગ છે.
સુરતમાં ખાડી પૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એકબાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજીબાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછાના બુટભવાની નજીક કોયલી ખાડીની આસપાસની 6 જેટલી બિલ્ડીંગોને આજે તોડી પાડવામાં આવી છે. ખાડીના પટમાં કુલ 26 જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે. પોલીસની સાથે ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસના લોકો પણ જોડાયાઆ ડિમોલિશન કામગીરીમાં 100થી વધુ પાલિકા કર્મચારીઓ અને 150થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે. સમજાવટ બાદ લોકોએ સહકાર આપ્યો, તમામ દબાણો દુર કરાશેઅધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડિમોલિશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા. હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, ખાડીના વહેણને નડતરરૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડી પૂરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે. મોટી માત્રામાં ચીન્દીનો કાપડનો જથ્થો ખાડીમાં ફેંકાયોવરાછાના બુટ ભવાની વિસ્તારમાં ખાડીના એક કાઠા તરફ જવાહર નગર છે અને બીજી તરફ ઈશ્વર નગર આવેલું છે. હાલમાં જે ખાડી છે, તેનાથી ડબલ ખાડી હતી. ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા પર વર્ષોથી અલગ અલગ મિલકતો બનવાનું શરૂ થઈ ગયું હતું. હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતા અડધી થઈ ગઈ છે. જવાહ નગર સોસાયટીના 26 જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે, જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે. આ સાથે જ જવાહર નગરમાં ખાડી પર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે, જેનો બચતો ચીન્દીનો કાપડનો જથ્થો પણ આ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય તે પ્રકારના દૃશ્યો પણ સામે આવ્યા છે. આ ખાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડની ચિન્દીનો કચરો પડ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. લોકોએ પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલિશનજવાહર નગરમાં જે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી. હજુ જે મિલકતોનું ડિમોલિશન કરવાની છે, તેને નોટિસ આપવામાં આવી છે. જે 6 મિલકતનું ડિમોલિશન ચાલી રહ્યું છે તેમાં મોટાભાગનામાં નાના-મોટા કાપડના જોબવર્કના યુનિટ ચાલે છે. આ સાથે કેટલાક મકાનોમાં કામ કરવા સાથે શ્રમજીવીઓ પણ રહેતા હતા, તેમને સમજાવી પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના પ્રભારી મંત્રી (રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી) કનુભાઈ દેસાઈ આજે સુરતની મુલાકાતે હતા અને તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર યોજ્યો હતો. કનુભાઈ દેસાઈએ સુરત પહોંચીને એક પછી એક એમ કુલ ત્રણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકોમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આજની હાઈલેવલની મિટિંગમાં સુરત મહાનગરપાલિકા, સુરત અને ગ્રામ્ય પોલીસ, સિંચાઈ વિભાગ, મેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકો દરમિયાન ખાડીપૂર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. કનુભાઈ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) ખાડીપૂરનાં મુખ્ય પાંચ કારણ1) સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ2) તાપી નદીનો જળસ્તર3) સુરત શહેરમાં ભારે વરસાદ4) ઉપરવાસમાં ભારે વરસાદ5) દરિયામાં હાઇટાઇડ શું છે સુરતમાં આવતું ખાડીપૂર?સુરત શહેર દરિયાકિનારે આવેલું છે. ચોમાસામાં શહેરભરનું જે પણ વરસાદી પાણી હોય તે દરિયામાં સમાવિષ્ટ થાય એ માટેના અલગ-અલગ રસ્તાઓ હોય છે. જેમાં સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં બે મહત્ત્વના રસ્તાઓ છે, એક તો તાપી નદી અને બીજી ખાડી. સુરત શહેરની વચ્ચે વચ્ચ એક કેનાલ જેવું પાણીનું વહેણ આવેલું જેના ખાડી તરીકે ઓળખવામાં આવે છે. સુરત જિલ્લાના કામરેજ, પલસાણા, બારડોલી, માંડવી, કડોદરા સહિતના વિસ્તારોનું જે પાણી આવે છે એ તાપી નદીમાં નહીં, પરંતુ ખાડીઓમાં આવી રહ્યું છે, જેને દર વર્ષે શહેરમાં પૂરની સમસ્યા ઉભી થાય છે. ખાડીના બન્ને કાંઠે દબાણ થતાં પાણીના વહેણમાં અવરોધ ઉત્ત્પન્ન થતાં આ વર્ષે તો 4 દિવસ સુધી સરથાણાથી ચારોલી સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ રહ્યો હતો, જેને પગલે હવે નડતરરૂપ દબાણો દુર કરવામાં આવી રહ્યાં છે. સુરત શહેરમાં તાપી નદી સાથે 5 ખાડી સુરત શહેરમાંથી તાપી નદી પસાર થાય છે. આ નદીની સાથે સાથે શહેરમાં 5 ખાડી છે, જેમાં ભેદવાડ, સીમાડા, મીઠી, ભાઠેના ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ તરીકે પ્રથમ નંબર મેળવ્યો છે. મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા અમદાવાદને મળેલા એવોર્ડ બદલ સૌ શહેરીજનો અને સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ જે શહેરમાં આવેલું છે એવા અમદાવાદ શહેરે સ્વરછતામાં પ્રથમ નંબર મેળવ્યો છે ત્યારે સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ પીરાણા ડમ્પ સાઈડ પર થયેલા ઢગલા ને દૂર કરવામાં આવ્યો તેમજ RRR મારફતે તમામ પેરામીટર્સ મેળવીને સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે. સફાઈ કર્મચારીઓ દ્વારા પણ દિવસ રાત કામ કરીને શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે બદલ તેમને પણ અભિનંદન આપું છું. સ્વચ્છતાનું કામ માત્ર એક જ દિવસનું નથી પરંતુ જીવનભર આ સ્વચ્છતા જરૂરી છે. અમદાવાદ શહેરને આ જ રીતે પ્રથમ નંબર રાખવા માટેની જવાબદારી નાગરિકોની પણ છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ સર્વેક્ષણ - 2024-2025નાં ઇન્સ્પેક્શન બાબતે સરકારની માર્ગદર્શિકા અનુસાર ઘરે-ઘરે કચરાનું 100 ટકા દૈનિક ધોરણે એકત્રીકરણ અને કચરાનું પાંચ પ્રકારે સેગ્રેગેશન કરી એકત્ર કરવા અમલમાં મુકેલા 1850થી વધારે વાહનોની ડોર ટુ ડોર સિસ્ટમ, કચરાને વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાની વ્યવસ્થા, પીરાણા ડમ્પસાઈટ પર કચરાનાં બાયો-માઈનિંગ અને કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેકટ સહિતની અમલમાં મુકેલ વિવિધ કામગીરીઓ સ્વચ્છતા રેન્કિંગમાં સુધારા માટે મહત્વના બની રહેલાં છે. સ્વચ્છ સર્વેક્ષણમાં વર્ષ દરમ્યાન કુલ 4 ફેઝમાં અમદાવાદ શહેરની સફાઈ અને સેનીટેશન તેમજ વેસ્ટ પ્રોસેસીંગ તથા RRR – રીડયુઝ, રીયુઝ,રીસાયકલ થીમ ઉપર કચરાનાં વ્યવસ્થાપન માટેનાં પગલાઓનું ડૉક્યુમેન્ટ સ્વરૂપે અને ફીલ્ડ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેની સાથે-સાથે કચરામુક્ત શહેર (ગાર્બેઝ ફ્રી સિટી)નાં 7 સ્ટાર રેટીંગ સર્ટીફિકેટ માટેનું તેમજ જાહેરમાં શૌચની સુવિધાઓ પુરી પાડવા અને ડ્રેનેજનાં ગંદા પાણીનાં STP પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ સહિતની બાબતોને આવરી લેતું વોટર પ્લસ સર્ટીફિકેટ માટેનું ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ. તેમજ નાગરીકોનાં ફીડબેક પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન, શહેરમાં જાહેર અને કોમ્યુનિટી શૌચાલયોની ઉપલબ્ધતા, તેમની જાળવણી અને સ્વચ્છતા, સાર્વજનિક સ્થળોએ સ્વચ્છતા, રહેણાંક વિસ્તારો અને વ્યાપારી વિસ્તારોમાં એક થી વધુ વખત નિયમિત સફાઈ, સ્ટોર્મ વોટર ડ્રેઇન્સ અને નદી, જળાશયોની સ્વચ્છતા, જાહેરમાં કચરો ફેંકવા પર નિયંત્રણ અને 'રેડ સ્પોટ્સ' (થૂંકવાના સ્થળો) તથા 'યલો સ્પોટ્સ' (ખુલ્લામાં પેશાબના સ્થળો)નું નિવારણ માટે સ્વચ્છતા સ્ક્વોડની અસરકારક અમલવારી તેમજ ઘન કચરા વ્યવસ્થાપન માટે નાગરિક ભાગીદારી અને જાગૃતિ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાનો અને નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત કરવાના માય સિટી, માય પ્રાઇડ અભિયાન હેઠળનાં પ્રયાસો કર્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા માટે ટેકનોલોજી નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં GPS સિસ્ટમ વડે મોનીટરીંગ જેવી નવીનતમ તકનીકો અને પદ્ધતિઓનો અમલ, સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં થુકનારા અને કચરો ફેકનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ હેઠળ 6000 થી વધારે સોસાયટીઓને આવરી લઈ વોર્ડ, ઝોન અને શહેર કક્ષાએ કરેલી સ્પર્ધાત્મક હરીફાઈ સાથેનાં વિવિધ પરિબળો પણ અસરકારક નીવડી છે. AMC દ્વારા વિવિધ પ્લાન્ટ નાખી અને જે પણ કચરો એકત્રિત થાય છે તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. ધાર્મિક વિધિઓ અને પૂજામાંથી ઉત્પન્ન થતા નિર્માલ્ય કચરા (જેમ કે કૂલો, પાન, હાર, વગેરે) નું એકત્રીકરણ કરી જૈવિક ખાતર બનાવવામાં આવે છે. ટૂંકા સમયમાં જ આ અંગેનો ખાસ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં નિર્માલ્ય કચરાને પર્યાવરણને અનુકૂળ રીતે પ્રક્રિયા કરી ખાતરની સાથેસાથે નાળિયેરના રેસામાંથી બનતી કોકોપીટ તેમજ ફૂલોમાંથી કુદરતી રંગો જેવા ઉત્પાદનો બનશે. ધાર્મિક નિર્માલ્યનાં વ્યવસ્થાપનની જેમ શહેરમાં બગીચાઓ, વૃક્ષો અને અન્ય વનસ્પતિમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટ (જેમ કે પાંદડા, ડાળીઓ, ઘાસ, વગેરે) ના વ્યવસ્થાપન માટે પણ નવો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં ગાર્ડન વેસ્ટમાંથી પ્રક્રિયા કરીને તેમાંથી બાયો-કોલ બનાવવામાં આવશે. જે પરંપરાગત કોલસાનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ બની રહેશે. આનાથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે અને પર્યાવરણને ફાયદો થશે.અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને તમામ શહેરીજનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કરણીઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે ત્યારે તમામનો હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું શહેરને આ જ રીતે સ્વચ્છ બનાવી રાખવાની જવાબદારી નાગરિકોની છે.