એક એવું નામ ‘ડેવિડ’ જે અમુક લોકો માટે માત્ર એક ટેલિગ્રામ અકાઉન્ટ છે, પણ ભારતના 24 રાજ્યોના અનેક ઠગાયેલા લોકો માટે ડરનું બીજુ નામ છે. ‘ડેવિડ’ ના નામે સંચાલિત એક ગુપ્ત ટેલિગ્રામ અકાઉન્ટના ઇશારાઓ પર કાર્યરત ભારતનો મુખ્ય ઓપરેટર પાર્થ ગોપાણી સુરત સાઇબર ક્રાઈમ સેલના હાથે લખનૌ એરપોર્ટ પરથી ઝડપાયો છે. પાર્થની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે કોઈ ટેલિગ્રામ એકાઉન્ટ ડેવિડના ઇશારે આ નેટવર્ક ચલવતો હતો. સાયબર સેલના તપાસમાં જાણવા મળ્યું છે કે 'ડેવિડ' આ કોઈ સામાન્ય ઠગ નથી. આ દુબઈ, કાંબોડિયા અને નેપાળ સુધી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સાઇબર ગુનાહિત રેકેટનો બ્રેઇન છે. પાર્થ ડેવિડના સંકેતો પર કરોડોની સાઇબર લૂંટ ચલાવતો હતો. પાર્થ પાસે 98 બેંક અકાઉન્ટ હતા જેમના માધ્યમથી તેણે રૂ. 27 કરોડથી વધુની ઠગાઈ કરી છે. કોણ છે ‘ડેવિડ’?‘ડેવિડ’ એ કોઈ જીવંત માણસ છે કે કોઈ થર્ડ પાર્ટી એકાઉન્ટ એ અત્યારસુધી જાણવા મળ્યું નથી. ‘ડેવિડ’ એક મિસ્ટરીયસ ટેલિગ્રામ અકાઉન્ટ છે, એક ડાર્ક વેબ પ્રકારનું કમાન્ડ સેન્ટર છે. જે ઉપરથી નીચે સુધી આખા રેકેટને નિયંત્રિત કરતું હતું. પાર્થને આ અકાઉન્ટ વિશે પહેલીવાર દુબઈમાં મળેલા અન્ય શખ્સ દ્વારા જાણ થઇ હતી. પાર્થને રોજ આ અકાઉન્ટમાંથી ઇન્ડિકેટ્સ, લિસ્ટ, ટ્રાન્ઝેક્શન રાઉટ અને ભોગ બનનાર વ્યક્તિઓની ટાર્ગેટ લિસ્ટ મળતી હતી એટલે પાર્થ ફક્ત ઓપરેટર હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ બેંકની વિગત પાર્થ 'ડેવિડ' ટેલિગ્રામ એકાઉન્ટથી આપતો હતો. બેંક એકાઉન્ટના એકાઉન્ટ યુએસડીટીમાં ટ્રાન્સફર કરતો હતો. વૃદ્ધો અને અશક્તો હતા પાર્થના ટાર્ગેટ પાર્થ અને તેના ગેંગનો મુખ્ય ટાર્ગેટ વૃદ્ધો, મહિલા અને ભોળા લોકો હતા. તે ક્યારેક CBI, ED અધિકારી, તો ક્યારેક ફોરેન્સિક ઓફિસર બનીને Skype કોલ કરતો અને કહેતો કે તમારું પાર્સલ વિદેશમાં પકડાયું છે જેમાં ડ્રગ્સ છે. પછી લોકોને ઑનલાઇન ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને, મોંઘી-મોંઘી ફી લઈ, લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. પાર્થના ટોળાંએ સુરતના 90 વર્ષના વૃદ્ધ પાસેથી પણ રૂ. 1.15 કરોડની ઠગાઈ કરી હતી. ટેક્નોલોજી, ક્રિપ્ટો અને કોર મેનેજમેન્ટપાર્થ પાસે 98 બેંક અકાઉન્ટ હતા જેના માધ્યમથી તેણે રૂ. 27 કરોડથી વધુની ઠગાઈ કરી છે. આ પૈકી 16.61 લાખની રકમ હાલ ફ્રીઝ કરવામાં આવી છે. આ બધી રકમ USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવાઈને ચીન સ્થિત હેન્ડલર્સ સુધી પહોંચી જતી હતી અને આ બધી વ્યવસ્થા એક જ ટેલિગ્રામ અકાઉન્ટ ડેવિડના ઇશારાઓ પર ચલાવવામાં આવતી હતી. 24 રાજ્યોમાંથી 173 ફરિયાદોNCRP પોર્ટલ મુજબ, પાર્થના બેંક અકાઉન્ટ્સના જોડાણથી 24 રાજ્યોમાંથી કુલ 173 સાઇબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. દરેક કેસમાં ‘ડેવિડ’ની કોણે કમાન્ડ આપી હતી તેવો પુનરાવૃત્તિભરી પેટર્ન જોવા મળી છે હવે આગળ શું?સુરત સાઇબર ક્રાઈમ સેલે ડેવિડની ઓળખ કાઢવા માટે ટેલિગ્રામ, ડાર્ક વેબ અને આંતરરાષ્ટ્રીય હેલ્પલાઇન્સ સાથે સંપર્ક શરૂ કર્યો છે. જો આ અકાઉન્ટની હકીકત બહાર આવે, તો વિશ્વના સૌથી મોટા ટેલિગ્રામ આધારિત સાઇબર રેકેટમાંથી એકનો ભાંડો ફૂટશે.
જો કોઈ ઓનલાઇન જમવાનું મંગાવેલ હોય અને ઓર્ડર રદ્દ થાય, એટલે રિફંડની અપેક્ષા રાખવી સામાન્ય બાબત ગણાય પણ આ સામાન્ય બાબત જ રત્નકલાકાર માટે એક સાઇબર ફ્રોડમાં ફેરવાઈ ગઈ હતી. જેના પરિણામે બેંક ખાતામાંથી 7.38 લાખ રૂપિયા ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક રત્નકલાકાર સાથે બની છે, જેમણે ફીક્સ ડિપોઝિટ તોડાવી પોતાની બચત તેમના બેંક ખાતામાં મૂકી હતી. પરંતુ 19 એપ્રિલે બપોરે તેમને મોબાઇલ પર ચોંકાવનારો મેસેજ મળ્યો હતો. જેમાં બેંક ખાતામાંથી પાંચ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી લાખો રૂપિયાની રકમ ઉપાડી ગયાની જાણકારી હતી. કેસ કેવી રીતે થયો?રત્નકલાકારે એક ફૂડ ડિલિવરી એપ મારફતે જમવાનું ઓર્ડર કરેલું હતું. કોઈ કારણસર તેઓએ ઓર્ડર કેન્સલ કરાવ્યો હતો. પછી થોડા સમય પછી તેમને રિફંડના બહાને કોલ આવ્યો હતો અને ક્લોન વેબસાઇટ પરથી રિફંડ મેળવવા માટે એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. રત્નકલાકારએ સુપરફિશિયલ વેબસાઇડ ડાઉનલોડ કરી, પણ એ ફૂડ એપ નહીં, એ તો મોબાઇલ હેકિંગ માટે તૈયાર કરેલી સાઇબર ટ્રેપ હતી. એપ ડાઉનલોડ થતાં જ તેમની સમગ્ર ડિવાઇસ ઠગ ટોળકીના કબ્જામાં આવી ગઈ હતી. ઠગ ટોળકીએ ગણતરીના કલાકોમાં બેંક એપ્સ, ઓટીપી અને અન્ય માહિતી હસ્તગત કરી હતી અને પાંચ ટ્રાન્ઝેક્શન કરી 7.38 લાખ રૂપિયા કાઢી લીધા હતા. ફરિયાદ કોણે કરી?આ બાબતને લઈને રત્નકલાકારની પત્નીએ સુરત સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તરત જ આઈ.ટી. એક્ટ અને IPC હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં મોબાઇલ ડેટા, બેંકના લોગ્સ અને હેકિંગ માટે ડાઉનલોડ કરાવેલી એપની ટેકનિકલ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
આગામી ગણેશોત્સવને હજુ 3 મહિના ઉપરાંતનો સમય બાકી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજે સિંહાસન સાથે 9 ફૂટ ઉંચાઇથી વધારે ગણપતિની માટીની મૂર્તિ અને સિંહાસન સાથે 5 ફૂટથી વધારે ઊંચી POP અને ફાઇબરની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપન કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગણપતિ ઉત્સવને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બહાર પાડેલા જાહેરનામા જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધુમપૂર્વક મનાવવામાં આવે છે. વડોદરા શહેરમાં આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા.27/08/2025ના રોજ ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે, જ્યારે શ્રીગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન, સરઘસ અને શોભાયાત્રા સાથે તા.06/09/2025ના રોજ નીકળનાર છે. સ્થાપના થયા તારીખથી વિર્સજનની તારીખના દિવસો દરમિયાન ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓના કદ બાબતે ઊંચાઇનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાનાં પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી કરવાના કારણે રોગચાળો ફેલાવાની શકયતા રહે છે તેમજ મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવામાં ના આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ ઉપરાંત મૂર્તિ બનાવવા માટે કેમિકલયુક્ત રંગોના ઉપયોગ થતો હોય આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ગાઇડલાઇન મુજબ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડ લાઇનને ધ્યાને રાખવી જરૂરી છે. - પ્રતિબંધિત કૃત્યો વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં 20/05/2025થી 18/07/2025 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કણસતા દર્દીને સારવાર આપવાને બદલે બે ડોકટરો આરામ કરતા હતા. એક ગેમ રમવામાં વ્યસ્ત હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્રારા આ અંગે માહિતી માંગતા નવી સિવિલ અધિકારીએ તપાસ કમિટી બનાવીને તપાસ શરૂ કરી છે. જોકે વીડિયો ઉતારનાર પર દોષનો ટોપલો ઢોળી સિવિલ હોસ્પિટલની આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હોવાનું નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારે કહેતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ વીડિયોમાં આરામ ફરમાવતા અને ગેમ રમતા ડોક્ટરો તબીબી અધિકક્ષને ન દેખાયા તે બહુ મોટી વાત છે. ડોક્ટર આરામ અને ગેમ રમતા જોવા મળ્યા હતામળતી માહિતી પ્રમાણે, પાંડેસરામાં રહેતો 34 વર્ષીય યુવાનને પેટમાં, કમર સહિતના ભાગે દુઃખાવો શનિવારે મોડી રાતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા હતા. ત્યારે દર્દીને દુઃખાવાના લીધે કણસી રહ્યો હોવાથી તડફડીયા મારી રહ્યો હતો. જોકે બે જેટલા ડોક્ટરો સુતેલા હતા અને એક ડોક્ટર મોબાઇલમાં ગેમ રમતા નજરે પડ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ વીડિયો અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ થતા ગંભીર નોંધ લીધી છે. સિવિલના અધિકારીએ તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરીઆરોગ્ય અધિકારીએ આ વીડિયો અંગે માહિતી નવી સિવિલના ઉચ્ચ અધિકારી પાસે માંગી છે. બાદમાં નવી સિવિલના અધિકારીએ તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના કેયુઅલ્ટી વોર્ડના વાઇરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસરત રહી છે. કેયુઅલ્ટી એટલે કે ઈમરજન્સી વોર્ડમાં જ્યારે દર્દી દાખલ થાય છે, ત્યારે સી.એમ.ઓ. (ફરજ પરના ડોક્ટર) ચેકઅપ કરે છે, દર્દીની બીમારીની હિસ્ટ્રી જાણે છે અને બીમારી મુજબ તેને તજજ્ઞ (સ્પેશ્યાલિસ્ટ) તબીબ પાસે બાજુના રૂમમાં રિફર કરવામાં આવે છે. દર્દીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા હતાડો. ધારિત્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે, આ મુજબ વીડિયોમાં જોવા મળતા પેટના દુઃખાવા સાથે આવેલા દર્દીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા હતા. એટલે કે વીડિયો રેકોર્ડ થયા પહેલા એક તબીબ તેમને ચેક કરી ચૂક્યા હતા અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કર્યા હતા. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અન્ય દર્દીને બાજુના રૂમમાં ટાંકા લઈ રહ્યા હતા. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ દર્દીના સગા ન હતા, કોઈ ત્રાહિત વ્યક્તિ હતા. દર્દીને પેટના દુ:ખાવા એટલે કે સર્જરીનો કેસ હોવાથી સર્જન જ દર્દી તપાસી શકે છે. આ દર્દીને ઈમરજન્સી સારવાર જરૂરી ન હતીડો. ધારિત્રી પરમારે વધુમાં કહ્યું કે, વીડિયોમાં બેઠેલા અન્ય તબીબો સર્જન ન હતા. જેથી ટાંકા લઇને સર્જન આવે ત્યાં સુધી રાહ જોવી જરૂરી હતી. આ દર્દીને ઈમરજન્સી સારવાર જરૂરી ન હતી જેથી સી.એમ.ઓ.ની તપાસ બાદ બેડ પર સૂવડાવ્યા હતા અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આવે તેની રાહ જોવી જરૂરી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્રને બદનામ કરવાના ઈરાદે દર્દીને લઈ આવેલા ત્રાહિત વ્યક્તિએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વીડિયો વાઇરલ કર્યોડો. ધારિત્રી પરમારે વધુમાં કહ્યું કે, દર્દી 3 વાગ્યે આવ્યા અને એક્સરે, સોનોગ્રાફીના રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સારવાર પૂર્ણ કરાવી 4 વાગ્યે જાતે જ ચાલીને ઘરે પરત ગયા હતા. વીડિયો શૂટ કરનારે સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વીડિયો વાઇરલ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આમ છતાં, ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે. આગામી દિવસમાં રિપોર્ટ રજુ કરવામાં આવશેઆ બનાવ અંગે સિવિલના ઓર્થોપેડિક વિભાગના વડા હરી મેનન, સિનિયર મેડિકલ ઓફિસર ડો. લક્ષ્મણ, મેટ્રન જિગીષાબેન તપાસ કરીને આગામી દિવસમાં રિપોર્ટ રજુ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર તેમજ ગેરવર્તણુંક કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના સમાચાર:ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 22 મે સુધી લંબાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે. ધોરણ-10ના પરિણામમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર અથવા તો નાપાસ થયા હોય તે વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ, પરિણામને સુધારવા ઈચ્છે છે તે વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષા આપી શકશે. પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત 20 મે સુધીની હતી જે મુદત લંબાવીને ફોર્મ ભરવાની મુદત 22 મે સુધી કરવામાં આવી છે.
રાજકોટના સમાચાર:રાજકોટ ડેરીનો દૂધ ઉત્પાદકોનાં હિતમાં નિર્ણય, પ્રતિ કિલો ફેટ રૂ. 10નો ભાવ વધારો કરાયો
રાજકોટ ડેરી દ્વારા હજારો દુધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા. 10નો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા તથા નિયામક મંડળના સભ્યોએ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જે અંતર્ગત હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે વધુ આધાર મળે તે હેતુથી દૂધ સંઘ દ્વારા દૂધના ભાવમાં રૂા. 10 પ્રતિ કિલો ફેટનો વધારો કરાયો છે. હાલ દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટ રૂ. 810 ચૂકવવામાં આવી રહ્યા છે. જે આવતીકાલ તા. 21થી વધારી રૂ. 820 કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા કુલ 50,000 દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ થશે. ભક્તિનગર સ્ટેશને રોકાતી ચાર ટ્રેનોનો હોલ્ટનો સમય વધારવા ચેમ્બરની માંગરાજકોટ ભક્તિનગર સ્ટેશન ખાતે આવતી 4 ટ્રેનો જેવી કે, ટ્રેન નં. 19571 રાજકોટ-પોરબંદર લોકલ, ટ્રેન નં. 19208 રાજકોટ-પોરબંદર લોકલ, ટ્રેન નં. 59423 રાજકોટ-પોરબંદર લોકલ, ટ્રેન નં. 59421 રાજકોટ-વેરાવળ લોકલનો હાલનો હોલ્ટનો સમય માત્ર એક મિનીટનો હોવાથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખુબ જ મોટી સંખ્યામાં મુસાફરો કોચમાં ચડવવાથી, ટ્રેન ચુકી જવાની વારંવાર ઘટના બનવી, જે વરિષ્ઠ નાગરીકો, મહિલાઓ અને નાના બાળકો સાથેના મુસાફરોને અસર કરે છે. ત્યારે આ મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ભક્તિનગર સ્ટેશન ખાતે આવતી ચારેય ટ્રેનોના હોલ્ટનો સમય બે મીનીટનો કરવા રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ અને DRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. કલેકટર કચેરીમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો, 7 ટકા કર્મચારીઓને બીપી-ડાયાબિટીસરાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કચેરીના કર્મચારીઓ માટે ફ્રી મેડીકલ કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં 160 જેટલા કર્મચારીઓએ લાભ લઈ મેડીકલ ચેકઅપ કરાવેલ હતું. જેમાં બીપી, કીડની, લીવર, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, સહિતની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કચેરીના પાંચથી સાત ટકા જેટલા કર્મચારીઓ બીપી- ડાયાબીટીસના શિકાર હોવાનું બહાર આવેલ હતું. આવા કર્મચારીઓને તાકીદના ધોરણે પોતાના ફેમીલી ડોકટરની સલાહ લેવા માટે ડાયરેકશન અપાયું હતું. આ કેમ્પમાં પદમકુંવરબા હોસ્પિટલના તબીબો અને નર્સીંગ સ્ટાફે પોતાની સેવા આપી હતી. યુકો બેંક દ્વારા MSMEને પ્રોત્સાહન આપવા સમારોહ યોજાયોવડાપ્રધાન મોદી દ્વારા MSMEને પ્રોત્સાહન આપવાની અપીલ કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારના બજેટ દરમિયાન પણ નાના ઉદ્યોગકારોને અનેક રાહતો આપી ઓછા વ્યાજદરથી લોન આપવા અપીલ પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટનાં પારેવાડી ચોક પાસે આવેલી ફર્ન હોટેલમાં આજે યુકો બેંક દ્વારા MSME ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ખાસ સમારોહ યોજાયો હતો. જેમાં બેંકનાં જનરલ મેનેજર પ્રેમશંકર ઝા સાથે રાજકોટ કોમોડિટી એક્સચેન્જનાં પ્રમુખ રાજુભાઇ પોબારું અને યુકો બેંકના અમદાવાદ ઝોનલ મેનેજર કપિલ બીશ્નોઈ ખાસ હાજર રહ્યા હતા. તેમજ યુકો બેંકનાં ગ્રાહકોને MSMEનાં મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. MSME અને એગ્રીકલચર હાલ ભારતીય અર્થતંત્રનાં પાયા સમાન હોવાનું જણાવી બેંક દ્વારા નાના અને લઘુ ઉદ્યોગોને આપવામાં આવતા લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. બી.જી. ગરૈયા કોલેજ દ્વારા સૈનિક રાહત ફંડ પેટે કલેક્ટરને 51 હજારનો ચેક અર્પણરાજકોટની બી.જી. ગરૈયા આયુર્વેદિક કોલેજ દ્વારા સૈનિક રાહત ફંડ પેટે કલેક્ટર પ્રભવ જોશીને રૂપિયા 51 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં દેશની સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે કોલેજ તરફથી મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં દવાઓ, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ સહિતની સેવા માટે તૈયાર હોવાની ખાતરી આપવામાં આવી હતી. એન.જી.ઓ. સાથેની બેઠક બાદ કોલેજના ડાયરેક્ટર વનરાજ ગરૈયા સહિતનાઓએ કલેક્ટરને સૈનિક રાહત ફંડ પેટે રૂ.51 હજારનો ચેક અર્પણ કર્યો હતો.
વડોદરા શહેર રસ્તા પર જઈ રહેલા ત્રણ મહિલા અને એક પુરુષના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેનાર ત્રણ કિશોરને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને વડોદરા શહેરના હરણી, બાપોદ અને વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચીલઝડપના ચાર અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. તા. 12/5/2025ના રાત્રે 9થી 10 વાગ્યા દરમિયાન અને તા. 13/5/2025ના બપોરે 3થી 3:30 વાગ્યા દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા આરોપીઓએ રસ્તે જઇ રહેલી ત્રણ મહિલાઓ અને એક પુરુષના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધા હતા. આ ગુનાઓને અટકાવવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ એ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને ત્રણ કિશોરને ઝડપી પાડ્યા હતા અને તેમના વાલીઓની હાજરીમાં પૂછપરછ કરતાં તેઓએ ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતુ કે, તેઓએ બાઈકનો ઉપયોગ કરીને આ ગુનાઓ આચર્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચાર મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી હીરો પ્લેન્ડર બાઈક સહિત 1,03,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરી કરી છે.
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલી રેલવે રાહત કોલોનીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં પિતા અને પુત્ર વચ્ચે લાંબા સમયથી ચાલતો મકાનના ભાડા સંબંધિત વિવાદ અંતે હિંસક બનાવમાં ફેરવાયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે ભાડાના મુદ્દે તકરાર થઈ જતા પિતાએ એસિડ ખરીદી લાવતી વેળાએ પુત્રે તેમને ધક્કો માર્યો હતો અને આ રકઝક દરમિયાન એસિડના છાંટા પુત્ર અને પુત્રી પર પણ પડતાં બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભાડા મામલે પિતા-પુત્ર વચ્ચે માથાકુટસુરતના માન દરવાજા વિસ્તારમાં રેલવે રાહત કોલોનીમાં રહેતા મોહમ્મદ તોફીક રફીક (ઉ.વ.30 વર્ષ) અને તેમની બહેન ફરાહ (ઉ.વ. 25 વર્ષ) હાલ સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના દરમિયાન તેમના પિતા પણ ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડુઆત રહે છે, જ્યારે પહેલા માળે પુત્ર અને બીજા માળે પિતા રહે છે. છેલ્લા ઘણા સમયથી મકાનના ભાડાની રકમ કોણ રાખે તે મુદ્દે પિતા અને પુત્ર વચ્ચે સતત રકઝક ચાલી રહી હતી. એસિડના છાંટા ઉડતા પિતા-પુત્ર અને પુત્રી ઇજાગ્રસ્તપિતા બહારથી એસિડની બોટલ લઈને ઘરે આવી રહ્યા હતા, ત્યારે નીચેથી ઉપર જતા દરમિયાન પુત્ર સાથે ફરીથી તકરાર શરૂ થઈ હતી. રોષે ભરાયેલા પુત્રે પિતાને ધક્કો માર્યો હતો. આ દરમિયાન એકાએક રકઝક થતાં પિતાની પાસે રહેલી એસિડની બોટલમાંથી છાંટા બહાર પડતાં તોફીક અને તેમની બહેન ફરાહને ઈજા થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક ત્રણેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પિતાએ એસિડ શા માટે ખરીદ્યું હતુંસલામતપુરા પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. એસિડ એટેકની ઘટના નથી પોલીસે જણાવ્યું છે. સત્તાવાર રીતે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, પિતાએ એસિડ શા માટે ખરીદ્યું હતું. પોલીસ પિતા તરફથી કોઈ આગોતરા યોજનાની આશંકા છે કે નહિ અને ગુનો અસાવધાનતામાં થયો છે કે ઈરાદાપૂર્વક તેને લઈને તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે. પોલીસે પિતાનું નિવેદન લેવામાં આવ્યું છે અને તોફીક તથા ફરાહના નિવેદન બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. હાલના હિસાબે આ કિસ્સો ‘ઘરેલું વિવાદ’ના રૂપમાં જોવાઈ રહ્યો છે પણ તેમાં કોઈ ગુનાહિત ઈરાદો સામેલ છે કે કેમ એ દિશામાં તપાસ ચાલુ છે.
સુરત શહેરમાં બેભાન થઈ ગયા બાદ બે લોકોના મોતના બનાવ સામે આવ્યા છે. હજીરાની AMNS કંપનીમાં કામ કરતા યુવાનનું ઘરે બેભાન થઈ ગયા બાદ મોત નિપજ્યું હતું. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા લિફ્ટ મેકેનિકનું બેભાન થઈ ગયા બાદ નીપજ્યું હતું. બંને લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની શક્યતા છે. જ્યારે સુરતમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો. આ સાથે રત્નકલાકાર પતિને પત્નીના પ્રેમસંબંધની જાણ થયા બાદ પત્નીએ જીવન ટુંકાવ્યું હતું. ગુરુજીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકાઅચાનક મોતના પહેલા બનાવમાં મૂળ પંજાબ અને હાલમાં હજીરા વિસ્તારમાં આવેલ રાજગીરી પાટીયા સુવાલી ખાતે રહેતા 41 વર્ષીય ગુરુજીત અમરજીત સિંગ હજીરાની AMNS કંપનીમાં નોકરી કરી વતન ખાતે રહેતી પત્ની અને પુત્રીનું ગુજરાત ચલાવતા હતા. ગુરુજીત રાબેતા મુજબ નોકરીએથી ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ તેઓ એકાએક બેભાન થઈ જતા તેમનો મિત્ર તેમને રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે ગુરુજીતને મૃત જાહેર કર્યા હતા. ગુરુજીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની શક્યતા છે. લિફ્ટ મેકેનિક એકાએક ઘરેબેઠા બેભાન થયાઅચાનક મોતના બીજા બનાવમાં, મૂળ પાલનપુર અને કતારગામ વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં રહેતા 29 વર્ષીય જીગ્નેશભાઈ વાલજીભાઈ ઈલાસરિયા લિફ્ટ મેકેનિક તરીકે નોકરી કરી પરિવારમાં પત્ની અને પુત્રીનું ગુજરાન ચલાવતા હતા. જીગ્નેશ આજે સવારે ઘરે એકાએક બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જીગ્નેશ ભાઈને મૃત જાહેર કર્યા હતા. રત્ન કલાકારે પત્નીના અન્ય સાથે સંબંધોની જાણ થતા જીવ ટૂંકાવ્યોઆપઘાતના પહેલા બનાવમાં, મુળ બિહાર અને અમરોલી વિસ્તારમાં 26 વર્ષીય સપનાસિંગ (નામ બદલ્યુ છે) પરિવાર સાથે રહેતી હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પતિ રત્નક્લાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે ઘરમાં હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું. સપનાના પરપુરૂષ સાથે પ્રેમસંબંધ હતો. જોકે, તેમના સંબંધ અંગે તેના પતિને જાણ થતા બોલાચાલી થઇ હતી. અને તેના પતિએ વતનમાં તેના પરિવારને જાણ કરવાના હતા. જેથી તે ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે. પતિની વાતનું માઠુ લાગતા પત્નીએ આપઘાત કર્યાની આશંકાઆપઘાતના બીજા બનાવમાં અમરોલીમાં કોસાડમાં SMC આવાસમાં 19 વર્ષીય પ્રકાશ મનોજ સોલંકી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. પ્રકાશ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ગત 17 એપ્રિલે બપોરે અમરોલીમાં આઉટર રિંગરોડ ખાતે ખેતરમાં ઝેરી દવા પી ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. પ્રકાશનો થોડા સમય પહેલા પત્ની સાથે ઝઘડો થયો હતો. બાદમાં પત્ની પિયર જતી રહી હતી. જેથી તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે.
ધોરણ 12ના પરિણામ આવ્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વર્ષે એન્જિનિયરિંગમાં 39225 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન ચાલુ છે તેથી રજિસ્ટ્રેશનની સંખ્યા વધી શકે છે. આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે. ધોરણ 12 ડિગ્રી એન્જિનિયરિંમાં 16 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 121 ખાનગી કોલેજ છે. જેમાં સરકારી કોલેજમાં 9385, ગ્રાન્ટેડ કોલેજમાં 1572 અને ખાનગી કોલેજમાં 68587 બેઠકો છે. આમ એન્જિનિયરિંગની કુલ 79544 બેઠકો છે. આ બેઠકો સામે આજ સુધીમાં 39225 વિધાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે કે 50 ટકા બેઠકો માટે રજિસ્ટ્રેશન થયું છે. હજુ રજિસ્ટ્રેશન ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના રજિસ્ટ્રેશન દરમિયાન 39225 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી રજિસ્ટ્રેશનની સંખ્યા વધી શકે તેવી શક્યતા છે. અત્યાર સુધીના વર્ષમાં ગત વર્ષે સૌથી વધુ 41642 વિધાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આ વર્ષે વધુ રજિસ્ટ્રેશન થઈ શકે છે. હજુ પૂરક પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે પણ રજિસ્ટ્રેશન ખુલ્લું મુકવામાં આવશે.
અમદાવાદના ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કામાં ચાર હજારથી વધુ કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશીઓ સિવાય જે નાગરિકો વર્ષોથી ચંડોળા તળાવમાં રહેતા હતા તેવા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો હતો. ચંડોળા તળાવના લાભાર્થીઓને મકાન આપવા માટે ખાસ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. એક અઠવાડિયામાં 3800 જેટલા લોકો વૈકલ્પિક મકાન મેળવવા માટે ફોર્મ લઈ ગયા છે. 31 મે સુધીમાં સુધી ફોર્મ જમા કરાવવાના રહેશે. દાણીલીમડા સારા રેસીડેન્સી પાસે આવેલી વોર્ડ ઓફિસમાં ચંડોળા તળાવના લાભાર્થીઓ ફોર્મ મેળવવા માટે લાંબી લાઈનો લગાવે છે. યોજનાના મકાનો ફાળવવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો9 મેના રોજ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેતાં હોય તેવાં કાચા-પાકા પ્રકારના સ્થાનિક લોકોને શરતોને આધિન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે EWS આવાસ યોજનાના મકાનો ફાળવવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસથી તમામ ચંડોળા તળાવના લાભાર્થીઓને ફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. 31 મે સુધી ફોર્મ જમા કરાવવાના રહેશે. દાણીલીમડા સારા રેસીડેન્સી પાસે આવેલી વોર્ડ ઓફિસમાં ચંડોળા તળાવના લાભાર્થીઓ ફોર્મ મેળવવા માટે લાંબી લાઈનો લગાવે છે. ચંડોળા તળાવના લાભાર્થીઓ માટે અલગથી ફોર્મ બહાર પડાયાદાણીલીમડા વોર્ડ ઓફિસ ખાતે દરરોજ સવારે 10 વાગ્યાથી જ ચંડોળા તળાવના લાભાર્થીઓ દ્વારા લાંબી લાઈન લગાવવામાં આવી હતી. ચંડોળા તળાવના લાભાર્થીઓ માટે અલગથી જ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. ફોર્મમાં આપેલી તમામ વિગતો ભરવાની રહેશે જેમાં પોતાના કુટુંબ, કાચું પાકું મકાન, બેંકની વિગતો, પૂરાવાની વિગતો તમામ પ્રકારની વિગતો ભરી અને 7,550ના ડિમાન્ડ ડ્રાફ્ટ ફોર્મ વોર્ડ ઓફિસમાં જમા કરાવવાના રહેશે. દર મહીને 30 હજાર રૂપિયા ભરવા મ્યુ. કોર્પો. દ્વારા જણાવાયુંદાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને અને વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખીને માગ કરી છે કે, દાણીલીમડા વોર્ડમાં આવેલા ચંડોળા તળાવ ખાતે વર્ષ 2010 પહેલા રહેતા ગરીબ પરિવારોને ઈ.ડબલ્યુ.એસ. આવાસો મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજના સ્થળ મકાન આપવાનો નિર્ણય લેવાયો છે જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. કોર્પોરેશન દ્વારા 10 મહિનાના હપ્તા હેઠળ દર મહીને 30 હજાર રૂપિયા ભરવા એમ કુલ ત્રણ લાખ રૂપિયા ભરવા બાબતે મ્યુનિ.કોર્પો. દ્વારા અસરગ્રસ્ત લોકોને જણાવવામાં આવ્યું છે. 5 હજાર રૂપિયાના હપ્તા કરી આપવા કોંગ્રેસની માગકુલ રકમની ભરપાઇ કર્યા બાદ જ આવાસો ફાળવવાની નીતિ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી છે, પરંતુ ત્યાં વસતા અત્યંત ગરીબ પરિવારના લોકો છે જેને કારણે તેઓ માટે દર મહીને 30 હજાર રૂપિયા ભરવા જેવી મોટી રકમ ભરવા અસમર્થ છે. તેઓ મજુર ગરીબ કક્ષાના હોવાથી અને રોજનું રોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મજુરી કામ કરી તેમના પરિવારનું ભરણપોષણ કરતા ગરીબ લોકો માટે માનવતાના ધોરણે દર મહિને હપ્તા હેઠળ 30 હજાર રૂપિયાના બદલે 5 હજાર રૂપિયાના હપ્તા કરી આપવા માગ કરી છે. 20 ટકા રકમ ડ્રોમાં સફળ થયા બાદ ભરવાની રહેશેજે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેઓને જ મકાન ફાળવવામાં આવશે. ફોર્મની સાથે ફોર્મ ફી 50 રૂપિયા અને ડિપોઝિટની 7500 રકમ સાથેનો ડિમાન્ડ ડ્રાફ્ટ-પે ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર અમદાવાદના નામનો બનાવી જમા કરાવવાનો રહેશે. ત્રણ લાખથી ઓછી આવક ધરાવનારા નાગરિકોને જ મકાન મળશે. ચંડોળા તળાવમાં રહેતા હોવા અંગેના પુરાવા અને એક ઓળખના પુરાવા એમ બે પુરાવાની નકલ ફોર્મની સાથે જોડવાની રહેશે. ત્રણ લાખ રૂપિયાના રકમમાં મકાન મળશે. જેના માટે 20 ટકા રકમ ડ્રોમાં સફળ થયા બાદ ભરવાની રહેશે અને બાકીના 80 ટકા રકમ 10 હપ્તામાં ભરવાની રહેશે. રકમ ભર્યા બાદ દસ્તાવેજ કરી અને મકાન ફાળવવામાં આવશે. આવાસના ફોર્મ AMC વોર્ડ ઓફિસમાંથી આપવાની શરૂઆતસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવની જમીનમાં ગેરકાયદેસર બનાવેલા કાચા/પાકા ઝુંપડામાં વસવાટ કરતાં રહેણાંક પ્રકારના આવાસોના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWS પ્રકારના આવાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નક્કી કરેલા ફોર્મ દાણીલીમડા ખાતે આવેલા ઝારા રેસીડેન્સી પાસેની AMC વોર્ડ ઓફિસમાંથી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આવક 3 લાખ કે તેથી ઓછી હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરીફોર્મની સાથે અસ૨ગ્રસ્તોએ ઈ.ડબલ્યુ.એસ. કેટેગરીના માન્ય આધારભૂત પૂરાવાઓ પૈકી બે પુરાવા ફરજીયાત સામેલ કરવાના રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાનો લાભ મેળવવા માટે અસરગ્રસ્તો 1 ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવના વિસ્તારમાં રહેતા હોવાના પુરવાર કરતા દસ્તાવેજો/જરૂરી પુરાવા રજૂ કરવા ફરજિયાત છે. પૂરાવાની સાથે તેમની કૌટુંબીક વાર્ષિક આવક રૂ. 3 લાખ કે તેનાથી ઓછી હોવાનું પ્રમાણપત્ર તથા ફોર્મમાં જણાવેલ અન્ય જરૂરી પુરાવાઓ સામેલ કરવાનાં રહેશે. મકાન મેળવવા 3 લાખની સંપૂર્ણ રકમ ભરવી ફરજિયાતફોર્મ સાથે જરૂરી પુરાવાઓ રજૂ કર્યા બાદ તેની ચકાસણી કરી નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સાથે ફોર્મ ભરેલા અસરગ્રસ્તોના પુરાવાના આધારે પાત્રતા નક્કી કરાવામાં આવશે. પાત્રતા ધરાવતા અસરગ્રસ્તોને જ આનો લાભ આપવામાં આવશે. અસરગ્રસ્તોની પાત્રતા નક્કી થયા બાદ આવાસની ફાળવણી લેતા પહેલાં જરૂર જણાયે પોલીસ વેરીફિકેશન પણ કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દસ્તાવેજ કરી અને લોકોને મકાન ફાળવવામાં આવશે. જો કે, મકાન મેળવવા માટે લોકોએ ત્રણ લાખની સંપૂર્ણપણે રકમ ભરવાની રહેશે. ફેઝ-2માં મેગા ડિમોલિશન હાથ ધરી દબાણો દૂર કરાયાદક્ષિણ ઝોનના દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવ કે જેનો કુલ વિસ્તાર 11 લાખ ચો.મી. જેટલો છે. તેમાં અંદાજીત 4 (ચાર) લાખ ચોરસમીટર જેટલા વિસ્તારમાં અન-અધિકૃત દબાણ આવેલા હતા. જેમાં 2.5 લાખ ચો.મી. જેટલા વિસ્તારમાં આવેલા 10,000થી વધુ કાચા/પાકા ઝૂપડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. તળાવમાં ગેરકાયદેસર દબાણો કરીને રહેતાં લોકોને તેમનો માલસામાન લઈ જઈને સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા હતા. 20 મેના રોજ મેગા ડિમોલેશન હાથ ધરી અને ચંડોળા તળાવના તમામ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. 2010 પહેલાના 8000 લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતુંસૂત્રો મુજબ અમદાવાદ કલેક્ટર દ્વારા વર્ષ 2015માં ચંડોળા તળાવ વિસ્તારમાં 2010 પહેલા રહેતા લોકો અંગેનો સર્વે કરવામાં આવ્યો ત્યારે 8000 જેટલા લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તાજેતરમાં 4000 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેથી અંદાજિત 4000-5000 જેટલા કાચા-પાકા ઝૂંપડા અને મકાનો હોય શકે છે. જેઓને આવાસ યોજનાના મકાનો લાભ મળી શકે છે.
શત્રુંજય તીર્થાધિરાજ દાદા શ્રી આદિનાથ પ્રભુની આગામી 500મી વર્ષગાંઠના સુવર્ણ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ નૃત્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન અંતર્ગત આ કાર્યક્રમ પ.પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદથી નમોનમઃ શાશ્વત પરિવાર દ્વારા યોજાયો. સ્પર્ધામાં રાજનગરની વિવિધ પાઠશાળાઓની 60 ટીમોએ ભાગ લીધો. તેમાંથી 27 ટીમો ફાઈનલ રાઉન્ડમાં પહોંચી. આ સ્પર્ધા ભગવાન ઋષભદેવે શીખવેલી સ્ત્રીઓની 64 અને પુરુષોની 72 કળાઓ પૈકી નૃત્યકળાને કેન્દ્રમાં રાખીને યોજાઈ. કુલ 200થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધાના અંતે પ્રેરણાતીર્થ સંઘ, લક્ષ્મીવર્ધક સંઘ અને ઝવેરીપાર્ક સંઘની પાઠશાળાઓ વિજેતા બની. અન્ય ટીમોને પણ વિશિષ્ટ દેખાવ માટે પુરસ્કૃત કરવામાં આવી. કાર્યક્રમમાં અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ, મેયર પ્રતિભાબેન જૈન અને સમાજના અગ્રણીઓએ હાજરી આપી. આયોજકોએ જણાવ્યું કે આગામી વર્ષોમાં અન્ય પારંપરિક કળાઓને પણ જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજના હેઠળ રસ્તાના અધૂરા કામોના નામે 71 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મંગળવારે બે આરોપીઓની ધરપકડ કરી છે. દેવગઢ બારીયા તાલુકા પંચાયતના મનરેગા શાખાના MIS કોમ્પ્યુટર ઓપરેટર સંજય બારિયા અને એજન્સી માલિક જગદીશ બારીયાની પોલીસે ધરપકડ કરી છે. ધાનપુરના APO ભાવેશ રાઠોડને માંગરોળથી ઝડપીને દાહોદ લાવવામાં આવ્યો છે. જગદીશ બારીયાની એજન્સી 'ઉમાબેન મદનલાલ પટેલિયા'એ બનાવટી બિલો રજૂ કરીને સરકારી તિજોરીમાંથી રકમ મેળવી હતી. દેવગઢ બારીયામાંથી ₹2,20,197 અને ધાનપુરમાંથી ₹68,88,818ની ગેરરીતિ આચરી હોવાની હકીકતો સામે આવી છે. પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓ પૈકી કોર્ટે સંજય બારિયા અને જગદીશ બારીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ભાવેશ રાઠોડને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે આ કૌભાંડની સઘન તપાસ શરૂ કરી છે. અધૂરા રસ્તાના કામોના નામે થયેલી આ ગેરરીતિએ મનરેગા યોજનાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આ કેસમાં હજુ વધુ ધરપકડો થવાની શક્યતા છે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સિસ્ટમના મામલે સરકારનું વલણ કડક બન્યું છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી દ્વારા કચેરીની ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસણી કરતા ફાયર સેફટીના 50 જેટલા સિલિન્ડર એકસપાયરી ડેટ વાળા નિકળતા આ સિલિન્ડરને બદલવા માટે કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાયર સેફટીના નવા સિલિન્ડર આવ્યા બાદ કચેરીના કર્મચારીઓને આ અંગેની તાલીમ આપવા માટે ખાસ કાર્યક્રમ પણ કરવામાં આવશે. ફાયર સેફટી સિસ્ટમ સરકારી કચેરીઓ હાઈરાઈઝ બિલ્ડિંગો, શાળા-કોલેજો-લગ્ન હોલ સહિત બહુમાળી ઈમારતો સહિતના માટે સુરક્ષાના કારણોસર ફાયર સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. આગની આકસ્મિક ઘટનાઓ સામે લોકોના જાન-માલના રક્ષણ માટે ફાયર સિસ્ટમ ઉપયોગી બને છે. આ વખતે કલેકટર પ્રભવ જોશી દ્વારા સતર્કતા દાખવી કલેકટર કચેરીની ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસણી કરતા 50 જેટલા સિલિન્ડરો એકસપાયરી ડેટ વાળા મળી આવતા તેને તાબડતોબ બદલવા માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ અપાયા હતા. આ અગાઉ પણ કલેકટર કચેરીના એકસપાયરી ડેટ વાળા ફાયર સિસ્ટમના સિલિન્ડરો તત્કાલ બદલવામાં આવેલ હતા.
વર્ષ 2013માં આનંદનગરમાં ATM તોડવાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે ફરિયાદ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. PSI કોર્ટમાં જુબાની આપવા ના આવતા પકડ વોરંટ જાહેર કરાયુંઆરોપીના વકીલે કોર્ટને અરજી આપી હતી કે, કોર્ટે સમન્સ નીકળ્યું હોવા છતાં તત્કાલીન તપાસ અધિકારી PSI કોર્ટમાં જુબાની આપવા હાજર થતા નથી. જેથી, કરીને કેસના ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે અને આરોપીઓએ હેરાનગતિ ભોગવવી પડે છે. સમયસર ટ્રાયલ ચલાવીને પૂર્ણ કરવાની જવાબદારી પ્રોસિક્યુશન પક્ષની હોય છે. તત્કાલીન તપાસ અધિકારી હાલમાં પાટણમાં ફરજ બજાવે છે. સમન્સ બજવણી થતા તેઓ કોર્ટમાં ઉપસ્થિત થતા ન હોવાથી તેમની સામે પકડ વોરંટ કાઢવામાં આવે અને તેમની જુબાની લેવામાં આવે. હાલ આ કેસ પુરાવા અને સાહેદોની તપાસના સ્ટેજ ઉપર છે. ત્યારે અમદાવાદ ગ્રામીણ કોર્ટે આરોપીના વકીલ આજે રાખીને તત્કાલીન PSI સામે નોન બેલેબેલ વોરંટ જાહેર કર્યું હતું.
રાજકોટ શહેરમાં રહેતાં એક પરિવારના 4 વર્ષેનો પુત્ર પડોશીને ત્યાં રમવા જતાં પરિવારના 65 વર્ષના વૃદ્ધે આ માસૂમને ખોળામાં બેસાડી ગંદી હરકત કરી હતી. બાળકે ઘરે આવી પોતાની માતાને આ વાત કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને પતિને બોલાવી વૃદ્ધના પરિવારજનોની હાજરીમાં શું થયું એવુ પુછતાં બાળકે વૃદ્ધની હરક્તની વાત દોહરાવી હતી. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે ભોગ બનનાર બાળકના પિતાની ફરિયાદ પરથી દેવેન્દ્ર નામના 65 વર્ષના વૃદ્ધ વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીના સમયમાં કયારેય કોઈ માથાકૂટ થઈ નથીબાળકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ચાર વર્ષનો દીકરો છે અને હું પ્રાઈવેટ નોકરી કરું છું. 12 વર્ષથી હું જે સ્થળે રહુ છુ, તેમાં બીજા માળે વિરેન્દ્ર નામના વૃદ્ધ તેના પરિવાર સાથે રહે છે. અમારી બાજુમાં બીજો એક પરિવાર પણ રહે છે. અમારી વચ્ચે અત્યાર સુધીના સમયમાં કયારેય કોઈ માથાકૂટ થઈ નથી. મારો 4 વર્ષનો દીકરો આ બંને પરિવારને ત્યાં રમવા માટે ઘણી વખત જતો હોય છે. વીરૂ અંકલે ખોળામાં બેસાડી ગંદી હરકત કરીગત 18.05.2025ના રોજ હું મારા કામ પર હતો ત્યારે પત્નીએ ફોન કરી જણાવ્યું હતું કે, તમે જલ્દી ઘરે આવો. મેં તેને શું થયું પૂછતાં તેણે કહ્યું કે, આપણો દીકરો પાડોશીની દીકરી સાથે પાછળ-પાછળ તેના ઘરમાં ગયો હતો. એ વખતે પડોશીની દીકરી ટોયલેટમાં ગઇ હતી. તે વખતે વીરૂ અંકલે આપણા દીકરાને ખોળામાં બેસાડી ગંદી હરકત કરી આવુ આપણો દીકરો કહે છે. મારા પત્નીની આ વાત સાંભળી હું તરત જ ઘરે ગયો હતો અને મેં પાડોશી વિરેન્દ્રનો દરવાજો ખખડાવ્યો હતો. એ સાથે જ તેણે કહ્યું કે, મેં કંઈ કર્યું નથી. જેથી, મેં આ વૃદ્ધના દીકરાને, તેના પત્નીને બોલાવી મારા ઘરે લઈ જઈ આ બધાની હાજરીમાં મારા દીકરાને શું જમ્યો? શું કર્યું? સહિતનું પૂછતાં તેણે નોર્મલ જવાબો આપ્યા હતાં. આ પછી મારા પત્નીએ તેને આજે તું દીદીના ઘરે ગયો ત્યારે શું થયું તેમ પૂછતાં તેણે કહ્યું કે, દાદાએ ખોળામાં બેસાડી વિકૃત હરકત કરી હતી. જોકે, આ વૃદ્ધે આવુ કંઈ કર્યુ નથી એવું રટણ ચાલુ રાખ્યું હતું. જેથી, અમે પોલીસ ફરિયાદ કરવા નક્કી કર્યું હતું અને અમે પોલીસ સ્ટેશને આવ્યા હતાં. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.આર. ડોબરીયા, નિલેષભાઈ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વલસાડ પોલીસની કામગીરી:પ્રોહિબિશન કેસનો આરોપી 8 વર્ષ બાદ નવી મુંબઈથી ઝડપાયો
વલસાડ એલસીબી પોલીસે 8 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન કેસના આરોપીને નવી મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી રાજેન્દ્ર પ્રસાદ બાબુલાલ ગુપ્તા સામે વર્ષ 2018માં ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વલસાડના એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટની ટીમે આ કેસમાં વિશેષ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. એલસીબી ટીમે છેલ્લા 20 દિવસથી આરોપી વિશે માહિતી એકત્રિત કરી હતી. ટીમે નવી મુંબઈમાં કેમ્પ ગોઠવ્યો હતો. ત્રણ દિવસ સુધી સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ કરી હતી. આરોપીની હાજરીની પુષ્ટિ થતાં પીએસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી નવી મુંબઈના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. પોલીસે તેની સામે ડુંગરી પોલીસ સ્ટેશનના ગુનાકાંડ નંબર 23/2018, પ્રોહિબિશન એક્ટ કલમ 65(ઇ) હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં પકોડીની લારી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. કિશોરભાઈ અને તેમના બે પુત્રો લારી પર હતા ત્યારે ત્રણ યુવકો પકોડી ખાવા આવ્યા હતા. પકોડી ગરમ અને ઠંડી હોવાના મુદ્દે તેમણે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન યુવકોએ કિશોરભાઈ અને તેમના બે પુત્રો પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લારી પરનો તમામ સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. કિશોરભાઈએ જણાવ્યું કે તેમના પુત્રો પકોડી બનાવી રહ્યા હતા ત્યારે યુવકોએ વિવાદ શરૂ કર્યો હતો. હુમલાખોરોએ ધમકી આપી હતી કે તેઓ સાંજે તલવાર અને ધોકા સાથે ફરીથી આવશે. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) અંતર્ગત ચાર મહત્વના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના હસ્તે 20 મે, 2025ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, વિવિધ બોર્ડના સભ્યો, વિભાગીય વડાઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમાં સૌથી મોટો પ્રોજેક્ટ 25 કરોડના ખર્ચે બનનાર મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર છે. 59,784 ચોરસ ફૂટમાં પથરાયેલા આ કેન્દ્રમાં આધુનિક સાધનોથી સજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવશે. 5.50 કરોડના ખર્ચે 12,128 ચોરસ ફૂટમાં ડેટા સેન્ટર બનશે. આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓના પરિણામો, શૈક્ષણિક કારકિર્દી અને સંશોધન માહિતીનો સંગ્રહ કરાશે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ પોતાની શૈક્ષણિક વિગતો સરળતાથી મેળવી શકશે. 6.40 કરોડના ખર્ચે 27,750 ચોરસ ફૂટનું એમ્ફીથિયેટર બનશે. આ સ્થળ સાંસ્કૃતિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે. 2.70 કરોડના ખર્ચે માનવિકી વિભાગનું 6,130 ચોરસ ફૂટનું વિસ્તરણ કરાશે. આ વિસ્તરણથી તુલનાત્મક સાહિત્ય અને અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ મળશે.
વાડજ સ્થિત સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોને રાહી ફાઉન્ડેશન તરફથી વિશેષ મદદ મળી છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખના જન્મદિવસ નિમિત્તે શાળાને નવું રેફ્રિજરેટર આપવામાં આવ્યું છે. આ ફ્રીઝ ઉનાળાની ગરમીમાં બાળકોને રાહત આપશે. શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પણ આપવામાં આવી છે. જેમાં નોટબુક અને સ્ટેશનરી કીટનો સમાવેશ થાય છે. બાળકોને સૂકો નાસ્તો અને બિસ્કિટ પેકેટ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન બાળકોને રસ-પુરી અને કેકનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને વિજય દલાલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલકે કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી હતી. મનોદિવ્યાંગ બાળકો આ મદદથી ખૂબ આનંદિત અને પ્રસન્નચિત્ત જોવા મળ્યા હતા.
અમદાવાદમાં ડેટિંગ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી યુવકને મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ યુવકને પોતાના ઘરની સ્થિતિ બતાવવાનું કહીને રિક્ષામાં લઈ જવામાં આવ્યો હતો. યુવકને ચોરીના કેસમાં ખોટો ફસાવી દેવાનું કહીને પોલીસ તરીકેની ઓળખ આપીને બે શખ્સોએ યુવક પાસેથી ટુકડે ટુકડે 5.90 લાખ પડાવ્યા હતા. આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજીવને રિક્ષામાં બેસાડીને જુહાપુરા ખાતે લઈ ગયો હતોઆનંદનગરના પીજીમાં રરહેતો રાજીવ (નામ બદલ્યું છે) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાજીવ ડેટિંગ એપ્લિકેશન દ્વારા અન્ય યુવકનો સંપર્ક કર્યો હતો. તે બંને આનંદનગર મળ્યા પણ હતા. ત્યાર બાદ અન્ય યુવકે કહ્યું હતું કે તેને પૈસાની જરૂર છે. ઘરમાં તેના માતા બીમાર છે. જેથી દસ હજાર રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રાજીવે પૈસા ના આપતા યુવકે કહ્યું કે, મારા ઘરની સ્થિતિ બતાવું તેમ કહીને રાજીવને રિક્ષામાં બેસાડીને જુહાપુરા ખાતે લઈ ગયો હતો. બંને રિક્ષામાંથી ઉતરીને જતા હતા, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું હતું કે, તમે લોખંડની ચોરી કરવા આવ્યા છો. હું પોલીસને ફોન કરું છું. આ દરમિયાન અન્ય એક શખ્સ આવ્યો હતો જેણે પોતે પોલીસમાં હોવાની ઓળખ આપીને કહ્યું કે, તમે લોખંડની ચોરી કરો છો તેમ કહીને રાજીવ સાથે આવેલા યુવકને માર માર્યો હતો અને તેને બાઈક ઉપર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે તેમ કહી લઈ જવામાં આવ્યો હતો. ચોરીના ગુનામાં જેલમાં જવું ના હોય તો પૈસા આપવા પડશેત્યાર બાદ પોલીસ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ પોતાનું નામ અજય રાઠોડ જણાવ્યું હતું અને રાજીવને કહ્યું હતું કે, ચોરીના ગુનામાં જેલમાં જવું ના હોય તો પૈસા આપવા પડશે તેમ કઈ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે ધૃત શરૂઆતમાં 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. બીજા પૈસાની માંગણી કરતા તેને પીજી ઉપર લઈ ગયો અને ક્રેડિટ કાર્ડ લઈને તેમાંથી 40,000 ઉપાડીને આપ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે પોલીસ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ રાજીવને ફોન કરીને બીજા પૈસાની માંગણી કરતા ધૃતને 70 હજાર રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં આ શખ્સોએ રાજીવ પાસેથી પૈસાની માંગણી સતત ચાલુ રાખી હતી. પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરીકોર્ટમાં મેટર જાય છે, રિમાન્ડ ઉપર લઈ જવાનો છે તેમ કહીને અલગ અલગ બહારના હેઠળ પાસેથી ટુકડે ટુકડે કુલ 5.90 લાખ રૂપિયા પડાવ્યા હતા. પૈસા આપ્યા છતાં પણ વધુ પૈસાની માંગણી કરતા રાજીવે ત્રણેય શખ્સો વિરુદ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માળિયા મિયાણા પોલીસે હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી દારૂની મોટી ખેપ પકડી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે કચ્છ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ બ્રેજા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની 333 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 3.89 લાખની કિંમતનો દારૂનો જથ્થો, 4 લાખની બ્રેજા કાર અને 15 હજાર રૂપિયાનો મોબાઈલ મળીને કુલ 8.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર ચાલક સુરેશ અજાભાઈ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બીજા આરોપી સુરેશ ચુન્નારામ મેઘવાલ (હાલ ગાંધીધામ, મૂળ રાજસ્થાન)નું નામ સામે આવ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.
વ્યારા તાલુકાના તાડકુવા ગામના બે શખ્સો સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે. આરોપીઓ પરબત બરાઈ અને હર્ષદ બાપુએ તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાનું કહી ફરિયાદી પાસેથી રૂ. 5.66 લાખની છેતરપિંડી કરી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીના મિત્રો શંકરભાઈ અને નરેશભાઇએ તેમને પરબતભાઈ બરાઈની તાંત્રિક વિદ્યા વિશે જણાવ્યું હતું. પાનવાડી ગામના મંદિર પાસે મુલાકાત ગોઠવાઈ હતી. ધર્મેશભાઈ ગામીત તેમની હ્યુન્ડાઈ કારમાં પરબતભાઈને લેવા ગયા હતા. રાત્રે નવ વાગ્યે પરબતભાઈ અને હર્ષદ બાપુ ફરિયાદીના ખેતરમાં આવ્યા. તેમણે વિધિ શરૂ કરી અને પૈસા માંગ્યા. ફરિયાદી શંકરભાઈ સાથે ઘરેથી રૂ. 5,51,000 લાવ્યા. આરોપીઓએ ત્રણેય વ્યક્તિઓને મોબાઈલ બંધ કરવા કહ્યું અને તેમને ચોખા આપીને દૂર નાખવા મોકલ્યા ને તક મળતાં જ આરોપીઓ પરબત બરાઈ અને હર્ષદ બાપુ ફરાર થઈ ગયા આ તકનો લાભ લઈને બંને આરોપીઓ રૂ. 5,51,000 રોકડા અને ત્રણ મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા. ફરિયાદીએ આરોપીઓની શોધખોળ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના ધાણધા ફાટક પાસેથી વાહન ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધાણધા ફાટક પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક પર જતા શખ્સને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સંજય નારાયણભાઇ તબીયાડ તરીકે થઈ છે. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગેડ ગામનો રહેવાસી છે. આરોપી ઇડરથી હિંમતનગર આવી રહ્યો હતો. પોલીસે બાઇકના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ રાહુલ અને અરવિંદ સાથે મળીને ત્રણ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ચોરીઓ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ, ઇડર પોલીસ સ્ટેશનની હદ અને હિંમતનગર નવી સિવિલ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂપિયા 85 હજારની કિંમતની ત્રણ બાઇક (GJ.09.CN.9541, GJ.09.CA.8317 અને GJ.01.HQ.7978) કબજે કરી છે. આરોપીને વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
ગઢડામાં કમોસમી વરસાદ:શહેર અને તાલુકાના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટાં, રસ્તાઓ પર પાણી
ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. વરસાદી ઝાપટાંને કારણે શહેરના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા. ગઢડા તાલુકાના ઢસા, પાટણા, પીપરડી, રસનાલ અને સીતાપર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ આવેલા વરસાદથી લોકોને રાહત મળી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
દ્વારકાના નાગેશ્વર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં દ્વિતીય પાટોત્સવ નિમિત્તે નિઃશુલ્ક નેત્રયજ્ઞ અને દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રયજ્ઞમાં કુલ 99 દર્દીઓએ સારવાર મેળવી હતી. તેમાંથી 24 દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. દર્દીઓને ઓપરેશન બાદ દ્વારકા પરત લાવવામાં આવ્યા હતા. દંતયજ્ઞમાં 102 દર્દીઓએ સારવાર મેળવી હતી. જાલંધર પદ્ધતિથી દર્દીઓના દુખતા દાંત કાઢવામાં આવ્યા હતા. 31 દર્દીઓને નવી બત્રીસી બનાવી આપવામાં આવી હતી. આ સેવા કાર્યક્રમને સફળ બનાવવા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદીઓ સામે ભારતીય જવાનોની સફળતાની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે શહેરમાં તમામ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાની શરૂઆત BAPS મંદિરના ગેટ પાસેથી થઈ. સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રયાણ કર્યું. યાત્રા શાક માર્કેટ, માણેક ચોક અને નવી કાપડ બજાર થઈને આગળ વધી. ત્યારબાદ ટાવર ચોક અને બોટાદના ઝાંપા થઈને પોલીસ સ્ટેશન પાસે સમાપન થયું. આ યાત્રામાં ગઢડાના PSI પંડ્યા અને PSI હેરમા સહિત પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો. સંતો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ જોડાયા. યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં 'ભારત માતા કી જય'ના નારા ગૂંજ્યા. આ પ્રસંગે શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો.
વડોદરા જિલ્લાના સાવલી વસનપુરા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે આજે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે રિક્ષાને અડફેટે લેતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામા સવાર 5 પૈકી એકજ ગામના 2 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 3ને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓટોરિક્ષામાં પાંચ વ્યક્તિ માનતા પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. માનતા પૂરી કરવા માતાજીના દર્શને ગયા હતામળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા અને મોકસી ગામના પાંચ વ્યક્તિઓ ભમ્મર-ઘોડા ગામે મેલડી માતાના દર્શન કરવા અને માનતા પૂરી કરવા માટે ઓટોરિક્ષામાં ગયા હતા. તમામ દર્શન કરી રિક્ષામાં પરત સાવલી તરફ આવી રહ્યા હતા. દરમિયાન સાવલીથી હાલોલ તરફ લાકડા ભરીને પુરઝડપે આવતી ટ્રકચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. બે વ્યક્તિના અકસ્માતમાં સ્થળ પર મોત નિપજ્યાઆ ગમખ્વાર અકસ્માતમાં ગીરવતભાઈ ઉદાભાઈ ગામેચી (રહે. ભાદરવા તા. સાવલી) તેમજ જયપાલસિંહ અર્જુન સિંહ સોલંકી (હાલ રહે. મોકસી તા. સાવલી મૂળ રહે. હડમતીયા તા. લુણાવાડા)નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે મહેશભાઈ રમણભાઈ માછી અને મહેશભાઈ શંકરભાઈ માછી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. પોલીસે ટ્રકચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાઆ ઘટના બનતાં સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રકનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સાવલી પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. એન.એચ.આર.સી દિલ્હીની ટીમે કરેલા મૂલ્યાંકનમાં આ આરોગ્ય મંદિરને 92.68% સ્કોર મળ્યો છે. આ આરોગ્ય મંદિર 12 જેટલી વિવિધ સેવાઓ પૂરી પાડે છે. તેમાં સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ બાદની સારસંભાળ અને નવજાત શિશુઓની સારવાર સામેલ છે. આ ઉપરાંત ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું નિદાન કરવામાં આવે છે. આંખ, નાક, કાન અને ગળાને લગતી બીમારીઓની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે. ડાંગ જિલ્લા પંચાયત હેઠળ કુલ 68 આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત છે. તેમાંથી અત્યાર સુધીમાં કોટબા આરોગ્ય મંદિરને પણ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે. હાલમાં 22 આરોગ્ય મંદિરનું રાષ્ટ્રીય કક્ષાનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. આગામી સમયમાં વધુ 15 આરોગ્ય મંદિરોનું મૂલ્યાંકન થવાનું છે. આ સિદ્ધિ બદલ ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અશોકભાઈ એસ. ચૌધરી અને તેમની ટીમને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હિમાંશુ ગામિત સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમે અભિનંદન પાઠવ્યા છે.
સલાયામાં અસામાજિક તત્વોના દબાણો પર કાર્યવાહી:હુસેની ચોક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું છે. સલાયાના હુસેની ચોક વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ આ વિસ્તારમાંથી તમામ દબાણો દૂર કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરીન પોલીસે સઘન પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારી 20 માછીમારી બોટને ડિટેઈન કરી છે. આ જિલ્લો ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલો છે અને પાકિસ્તાની જળસીમાની નજીક હોવાથી અતિસંવેદનશીલ ગણાય છે. જિલ્લામાં 23 ટાપુઓ પૈકી 21 નિર્જન ટાપુઓ પર તંત્રએ પ્રવેશબંધી લાગુ કરી છે. પોલીસે માછીમારી માટે ટોકન ન લેનારી અને જૂના ટોકનનો દુરુપયોગ કરનારી બોટો સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, હોકાયંત્ર, એન્ડ્રોઇડ બેરોમીટર અને ઇમરજન્સી સિગ્નલ જેવા આવશ્યક સુરક્ષા સાધનો વગરની બોટોને પણ પકડવામાં આવી છે. પકડાયેલી બોટોમાં બેટ દ્વારકા નજીકથી 3, સલાયા પાસેથી 9, દ્વારકા નજીકથી 2, વાડીનાર પાસેથી 1 અને ઓખા નજીકથી 5 બોટનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસે આ તમામ બોટો વિરુદ્ધ મત્સ્યોદ્યોગ અધિનિયમ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વલસાડમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:આંતરરાજ્ય ગેંગનો આરોપી ઝડપાયો, સ્કોડા કાર રિકવર; બે આરોપી હજુ ફરાર
વલસાડ શહેરના મણીબાગ સોસાયટીમાં ગત એપ્રિલ મહિનામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ સીટી પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના એક મુખ્ય આરોપી મંલગ સૌદ શેખને મહારાષ્ટ્રના નયાનગરથી ઝડપી લીધો છે. ચોરી થયેલી સ્કોડા રેપીડ કાર પણ રિકવર કરવામાં આવી છે. ફરિયાદી દેવાનંદ લાખાભાઈ આહિરે નોંધાવેલી ફરિયાદ મુજબ, કલ્પેશભાઈ પટેલના ભાડાના બંગલામાંથી ઘડિયાળ અને કાર સહિત કુલ રૂ. 2.10 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. SP ડો. કરનરાજ વાઘેલા અને DySP એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ PI દિનેશ પરમારની ટીમે તપાસ શરૂ કરી. સર્વેલન્સ PSI ડી.એસ. પટેલની ટીમે 150થી વધુ CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ કર્ણાટકથી હ્યુન્ડાઈ i20 કારમાં આવ્યા હતા. આ ગેંગ વિરુદ્ધ 100થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે કોલ ડીટેઈલ્સ, બેંક રેકોર્ડ અને અન્ય માહિતીના આધારે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. બે આરોપી મંજુનાથા ઉર્ફે માંજા કેલકરે અને શોહેલ ઉર્ફે મોહમ્મદ ઇબ્રાહીમ હજુ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો રાજ્ય સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ 22મી મેના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓનું ઓનલાઈન નિવારણ કરશે. વર્ષ 2003થી શરૂ થયેલા આ કાર્યક્રમનું આયોજન દર મહિનાના ચોથા ગુરુવારે કરવામાં આવે છે. નાગરિકો અને અરજદારો પોતાની રજૂઆતો 22મી મેના રોજ સવારે 8થી 11 વાગ્યા સુધીમાં કરી શકશે. રજૂઆત માટે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવાનું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. આ કાર્યક્રમ થકી નાગરિકોની સમસ્યાઓનું સીધું નિરાકરણ લાવવામાં આવશે.
વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના એડમિશન માટેના વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓને રૂમમાં પ્રવેશ આપવાના મામલે અને પ્રોફેસર દ્વારા દૂરવ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને ડીનનો ઘેરાવ કર્યો હતો અને પ્રોફેસર દ્વારા 24 કલાકમાં લેખિતમાં માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લાની 2919 મહિલાઓને 20 લાખ રૂપિયાથી વધારે આર્થિક સહાય ચૂકવાઈસંસ્થાકીય પ્રસૂતિના પ્રોત્સાહન દ્વારા માતા અને બાળ મૃત્યુદરને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવેલી જનની સુરક્ષા યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની સગર્ભા મહિલાઓને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે કટિબદ્ધ છે. જિલ્લામાં આ યોજનાની અમલવારીની વાત કરીએ તો, વર્ષ 2024-25 દરમિયાન જિલ્લાની 2919 મહિલાઓને 20.29 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આ નાણાકીય સહાય લાભાર્થી મહિલાના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 200 અને શહેરી વિસ્તારમાં રૂ. 100ની સહાયઆ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની સગર્ભા બહેનોને સગર્ભાવસ્થાના 6થી 8 માસ દરમિયાન લાભાર્થીને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 700 તેમજ શહેરી વિસ્તારમાં રૂ. 600 પોષણયુક્ત ખોરાક અને પ્રસૂતિ સમયે થતા અન્ય ખર્ચને પહોંચી વળવા સહાય સ્વરૂપે આપવામાં આવે છે. તદુપરાંત પ્રસૂતિ માટે વાહન વ્યવહાર પેટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 200 અને શહેરી વિસ્તારમાં રૂ. 100ની સહાય આપવામાં આવે છે. જનની સુરક્ષા યોજના (JSY) હેઠળ અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સુલભ છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાય છે, જ્યારે ઓફલાઈન અરજી માટે નજીકની આશા કાર્યકર્તા અથવા આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. બજેટમાં 2025 સુધીમાં 218.80 ટકાનો વધારો કર્યોમહત્વનું છે કે, જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ માતા અને નવજાત શિશુના મૃત્યુદરને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલો એક સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ છે. આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટેના બજેટમાં નાણાકીય વર્ષ 2014થી વર્ષ 2025 સુધીમાં 218.80 ટકાનો વધારો કર્યો છે.
હિંમતનગરમાં મંગળવારે સાંજે ડૉ. નાલિનકાન્ત ગાંધી ટાઉન હોલથી સિંદૂર યાત્રા નીકળી હતી. આ યાત્રા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં યોજવામાં આવી હતી. હિંમતનગર જાગૃત મહિલાઓ દ્વારા આયોજિત આ યાત્રામાં મહિલાઓએ લાલ સાડી પહેરી અને સિંદૂર લગાવ્યું હતું. યાત્રામાં દીપક પ્રગટાવી સૈન્યની શૌર્યતાને સલામી આપવામાં આવી હતી. એક નાની બાળકીએ ભારત માતાનો પહેરવેશ ધારણ કરીને યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા ગાંધી રોડથી નવા બજાર રોડ થઈને ટાવર ચોક સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, મહિલા અગ્રણી નીલાબેન પટેલ, નિર્મલાબેન પંચાલ સહિત વિવિધ સંગઠનોની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ યાત્રા કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટના બાદ શરૂ થયેલા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં નીકળી હતી. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસી પર હુમલો કરી તેમની હત્યા કરી હતી. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકો યોજી અને 15મા દિવસે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં દેશભરમાં તિરંગા યાત્રા અને સિંદૂર યાત્રાનું આયોજન થઈ રહ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં મંગળવારે કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ખાનગી કોલેજોમાં સ્ટાફની ભરતી માટેના ઇન્ટરવ્યૂ હવે યુનિવર્સિટી પોતે જ લેશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બાકી રહેલા વર્ષોની એલઆઇસી કમિટીની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઇન વહીવટ માટે ઇઆરપી મોડ્યુલને મંજૂરી આપવામાં આવી છે. કુલપતિ દ્વારા રચાયેલી નવી કમિટીઓ અને ડીનોની નિમણૂકોને બહાલી મળી છે. યુનિવર્સિટીમાં કાર્યરત કરાર આધારિત કર્મચારીઓના રિન્યુઅલ માટે વિભાગીય રિપોર્ટ મંગાવવામાં આવ્યા હતા. 50 જેટલા કર્મચારીઓનો નકારાત્મક રિપોર્ટ આવતા તેમને રિન્યુ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રિઝલ્ટ સેન્ટરમાં સિસ્ટમ એનાલિસ્ટ અને હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી 4 જૂને યોજાનારી બીઓએમની બેઠકમાં હેડહોક અધ્યાપકોને પીએચડી ગાઈડની માન્યતા અંગે નિર્ણય લેવાશે. બેઠકમાં રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. કમલ મોઢ, મુકેશભાઈ પટેલ, કે.કે. પટેલ અને કોકિલાબેન પરમાર સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ નગરપાલિકાએ શાકભાજી માર્કેટના નવા બિલ્ડિંગના બાંધકામને સુરક્ષિત રાખવા મહત્વનું પગલું લીધું છે. માર્કેટની આસપાસના રસ્તાઓ પર લારી-પાથરણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા હેઠળના વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નં. 104 અને 103માં મોરારજી દેસાઈ વેજિટેબલ માર્કેટનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ સાઈટની આસપાસ શાકભાજી વિક્રેતાઓ અને ફેરિયાઓની અવરજવરથી કામગીરીમાં અડચણો ઊભી થતી હતી. નગરપાલિકાએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તમામ વેપારીઓને તરીયાવાડ ખાતે ડ્રેનેજ પંપિંગ સ્ટેશનની પાછળની ખુલ્લી જગ્યામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ જગ્યાએ પાયાની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ 17 જૂન 2025 સુધી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. નગરપાલિકાએ 15મી મેના રોજ જારી કરાયેલા જાહેરનામાની કડક અમલવારી શરૂ કરી દીધી છે.
કેન્દ્ર સરકારે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO)ના સ્વતંત્ર નિયામક તરીકે પાટણના કે.સી.પટેલની નિમણૂક કરી છે. તેઓ અગાઉ વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડમાં સ્વતંત્ર નિયામક તરીકે સેવા આપી ચૂક્યા છે. HUDCO ભારત સરકારની માલિકીની જાહેર ક્ષેત્રની કંપની છે. આ કંપની 1970થી દેશના આવાસ અને શહેરી વિકાસ ક્ષેત્રે કાર્યરત છે. કંપની ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવાસ, માળખાકીય સુવિધાઓ અને ટકાઉ શહેરી વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. કંપનીએ ગુજરાત સરકાર સાથે 14,500 કરોડ રૂપિયાના આવાસ અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ માટે સમજૂતી કરારો કર્યા છે. HUDCOએ 2024-25માં 10,311 કરોડનું ઓપરેશનલ રેવન્યુ અને 2,709 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 44,000 કરોડથી વધુ છે. કંપનીનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં છે. દેશભરમાં તેની 21 પ્રાદેશિક કચેરીઓ અને 11 વિકાસ કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં અમદાવાદમાં એક પ્રાદેશિક કચેરી આવેલી છે. કંપનીએ CSR હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલને 70 લાખ રૂપિયાની કિંમતની બે એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ દાન કરી છે. કે.સી.પટેલની નિમણૂક ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તેમજ શહેરી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સેતુરૂપ બનશે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આઠ મહિનાના બાળકના ગળામાં સોળીનો દાણો અટકી જતા બાળકનું મોત નીપજ્યું હતું. બાળક રમતા રમતા સોળીનો દાણો ગળી ગયો હતો. ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને હોસ્પિટલ પહોંચતા તેને મૃત જાહેર કરાયો હતો. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓરિસ્સા અને પાંડેસરા વિસ્તારમાં આવેલ પોલીસ કોલોની ખાતે રહેતા કાલુ ચરણભાઈ પાંડે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક પુત્રી અને 8 મહિનાના પુત્ર છે. કાલુ સંચા મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાલુના આઠ મહિનાના પુત્ર સમર્થે ઘરે રમતા રમતા સોળીનો દાણો ગળી ગયો હતો. સમર્થને ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવારજનો સમર્થને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સમર્થનું મોત નીપજ્યું હતું. પાંડે પરિવારના એક એક પુત્રના મોતથી પરિવાર શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પંચમહાલ જિલ્લામાં માનવસર્જિત અને કુદરતી આપત્તિ સમયે બચાવ અને રાહત કાર્યો માટે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, આ નિમણૂક પ્રક્રિયા 22થી 25 મે દરમિયાન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી હાથ ધરાશે. દરેક તાલુકામાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધણી થશે. ગોધરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા અને મોરવા (હડફ) તાલુકાના ઉમેદવારો પોતાના સંબંધિત પોલીસ સ્ટેશનમાં અરજી કરી શકશે. ઉમેદવારો માટેની પાત્રતા: - ઉંમર 18 વર્ષથી વધુ - ન્યૂનતમ ધોરણ 4 પાસ - તંદુરસ્ત અને ભારતીય નાગરિક અરજદારોએ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે લાઈટ બિલમાંથી કોઈપણ બે પુરાવા અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવાનું રહેશે. NSS, NCC, NYKS, માજી સૈનિકો અને ખાનગી સિક્યોરિટી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત પોલિસમિત્ર, સ્થાનિક તરવૈયા, આપદા મિત્રો અને NGO કર્મચારીઓ પણ અરજી કરી શકશે. મહત્વની નોંધ: આ સ્વયંસેવક તરીકેની સેવા માટે કોઈ વળતર મળશે નહીં અને આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપવી ફરજિયાત રહેશે.
સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના બે યુવાનોનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતક યુવાનોની ઓળખ દશરથભાઈ પોપટભાઈ વાલ્મિકી (ઉંમર 16 વર્ષ) અને રાજેશભાઈ સોમાભાઈ વાલ્મિકી (ઉંમર 18 વર્ષ) તરીકે થઈ છે. ગઈકાલે (19 મે 2025) બનેલી આ ઘટનામાં પ્રથમ દશરથભાઈનો તળાવમાં પગ લપસ્યો હતો. તેમને બચાવવા માટે રાજેશભાઈ તળાવમાં કૂદ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ બંને યુવાનો તળાવના પાણીમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી સમગ્ર વાલ્મિકી સમાજ અને ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના રૈયા રોડ પર શાંતિ બંગલોમાં રહેતા વેપારીએ એક મિલકત પર બે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 59.72 લાખની ઠગાઈ કર્યા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. વેપારીએ પોતાની અન્ય કોઈ લોન ચાલતી ન હોવાનું બેંકમાં ખોટું સોગંદનામુ રજુ કર્યું હતું. રૈયા રોડ પર ન્યુ એરા સ્કૂલ પાસે અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા કનકસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.52) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી કરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પર સમૃદ્ધિ પાર્કમાં શાંતિ બંગલો નંબર 9માં રહેતા વેપારી સચિન ચુનીલાલ જટાણીયાનું નામ આપ્યું છે. 26.50 લાખની ટોપઅપ લોન કરી હતીકનકસિંહએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં સરદારબાગ સર્કિટ હાઉસ સામે આવેલી એસબીઆઈ બેન્કમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.15.11.2018ના આરોપી સચિન જટાણીયાએ જવાહર રોડ એસબીઆઈની જીમખાના શાખામાં એલ એન્ડ ટી કંપનીમાંથી પોતાની હોમ લોન ટેક ઓવર કરવા માટે અરજી કરી હતી અને ઓનલાઈન જરૂરી પ્રોસિજર કરી સચિનની 12 લાખની હોમ લોન તારીખ 20.11.2018ના ટેક ઓવર કરી હતી. બાદમાં સચિને ટોપ અપ લોન માટે અરજી કરતા તા.1.9.2021ના 21.22 લાખની હાઉસિંગ લોન તથા ફરી અરજી કરતા 26.50 લાખની ટોપઅપ લોન કરી હતી. કોમર્શિયલ મિલકત પર 32 લાખની લોન લીધી હતીવર્ષ 2021માં રાજકોટ ધનેશ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી એક લેટર આવ્યો હતો જેમાં ફરિયાદની બેંકે જે મિલકત ઉપર સચિનને લોન આપી છે તેના ઉપર ધનેશ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી પણ આરોપીએ લોન લીધી છે તેવું લખ્યું હતું. જેથી બેંક તરફથી તપાસ કરતા સચિને આ મિલકત તથા અન્ય કોમર્શિયલ મિલકત પર 32 લાખની લોન લીધી હતી. આરોપીએ જે તે વખતે ફરિયાદીની એસબીઆઈ બેન્કમાં પોતે ઉપરોક્ત મિલકત પર અન્ય કોઈ જગ્યાએ લોન લીધી નથી તેવું સોગંદનામુ રજૂ કર્યું હતું. આ અંગે યોગ્ય કાર્યવાહી કરી સચિનના મકાનનો કબજો વર્ષ 2023માં ફરિયાદીની બેંકે લીધો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆરોપી સચિને ધનેશ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લોન લીધી હોવા છતાં ફરિયાદીની બેંકમાં ખોટું સોગંદનામુ કરી બેન્કમાંથી 59.72 લાખની હોમ લોન તથા ટોપઅપ લોન લઈ પરત નહીં ચૂકવી બેંકમાં ખોટું સોગંદનામુ કરી બેંક સાથે ઠગાઈ કરી હોય તેની વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે એ ડિવિઝન પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 420 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મેઘરાજ નગરની પંચવટી સોસાયટીમાં ગટરલાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજના કારણે સમગ્ર સોસાયટીમાં ગંદા પાણીનો ભરાવો થયો છે. ભર ઉનાળામાં સોસાયટીની સ્થિતિ તળાવ જેવી બની ગઈ છે. ગ્રામપંચાયત હેઠળ આવતા આ વિસ્તારમાં રહેવાસીઓ નિયમિત વેરો ભરે છે. જોકે, તંત્રની બેદરકારીના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના ગંદા પાણીથી આખી સોસાયટીમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. રાહદારીઓ અને વાહનચાલકોને આવન-જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. સ્થાનિક રહીશોની માંગ છે કે ગ્રામપંચાયત દ્વારા આ ગટરલાઈનનું રિપેરિંગ કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે. જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ગ્રામપંચાયતની છે. આ સમસ્યાના નિરાકરણમાં વિલંબ થશે તો રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર માર્ગ પર બેફામ બાઇક સ્ટંટ કરતા યુવકોનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અનુસાર ટ્રાફિક વિભાગે કાર્યવાહી શરૂ કરી. પી.એસ.આઈ. વી.એમ. સોલંકી અને તેમની ટીમે વીડિયોની તપાસ કરી. તપાસમાં આ વિડિયો મીઠાપુર-આરંભડા વિસ્તારનો હોવાનું સામે આવ્યું. ટ્રાફિક પોલીસે મીઠાપુર પોલીસની મદદથી વિસ્તારમાંથી ચાર શખ્સોની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ રેસિંગ કરતા બાઈકર્સ સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે આગામી સમયમાં પણ રેસિંગ અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ 'વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ થાય' રાખવામાં આવી છે. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ 22 મેથી 5 જૂન સુધી વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાશે. શાળા-કોલેજો, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ અને ઊર્જા સંરક્ષણ જેવા પગલાંથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. જિલ્લામાં સામાજિક સંસ્થાઓના સહયોગથી લોક જાગૃતિ ફેલાવવામાં આવશે. કાર્યક્રમો અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, રેલી, સાયકલિંગ અને નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને અખબારો મારફતે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર વેલનાથપરા શેરી નંબર 1માં શીવ હોટલ પાછળ દેવીપૂજક સમાજનો રખાદાદાનો માંડવો હતો. જેમાં પશુ બલી ચડાવવામાં આવી રહી હતી. આ અંગે વિજ્ઞાન જાથાનો સ્ટાફ પોલીસને સાથે લઇ કાર્યવાહી કરવા પહોંચ્યો હતો. જોકે, પોલીસે વિજ્ઞાન જાથાના સ્ટાફને પશુ બલી અંગે ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશને મોકલ્યો હતો. ત્યારે પાછળથી સમાજના આગેવાન ભાવેશે ટોળુ રચી ધમાલ મચાવી બંદોબસ્તમાં સામેલ ASI હેમદીપ મારવાણીયાને ખેંચીને ટોળાની વચ્ચે લઇ જઇ મારકુટ કરી હતી. જેને છોડાવવા વચ્ચે પડેલા અન્ય પોલીસ સ્ટાફના લોકો સાથે પણ મારકુટ કરતાં વધુ પોલીસ બોલાવાતાં તેની સાથે પણ ટોળાએ ધમાલ મચાવી પથ્થરમારો કરતાં પીઆઇ એ.બી.જાડેજાએ ટોળાને વિખેરાવા હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી જ ભાવેશ સહિત 14 શખ્સોને ઝડપી લીધા હતાં. આ 14 તથા અન્ય 100 જેટલા લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ સહિતનો અને બીજા પાંચ આગેવાનો સામે 7 નર બકરાની પશુ બલી ચડાવવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ 14 લોકોની ધરપકડ કરીઆજીડેમ પોલીસ સ્ટેશનના ASI હેમદીપ વૃજલાલ મારવાણીયા (ઉ.વ.30)ની ફરિયાદ પરથી નારાયણનગરના ભાવેશ અરજણભાઇ વિકાણી, રાજેશ પ્રેમજીભાઇ ચુડાસમા, કાળુ વાલજીભાઇ ગોરસવા, હાર્દિક હરિભાઇ સોલંકી, ગોવિંદ બટુકભાઇ સોલંકી, વિક્કી દામજીભાઇ સોલંકી, રોહિત પરષોત્તમભાઇ પરમાર, સંદિપ પરષોત્તમભાઇ પરમાર, હિતેષ મનજીભાઇ સોલંકી, સની મનજીભાઇ સોલંકી, દિપક રમેશભાઇ જસાણીયા, રાહુલ સામતભાઇ ડાભી, પ્રવિણ રવજીભાઇ જાડેજા, પ્રકાશ રમેશભાઇ જસાણીયા અને બીજા 100થી વધુ લોકોના ટોળા તથા તપાસમાં ખુલે તેની સામે BNSની કલમ હેઠળ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો નોંધી 14 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિજ્ઞાન જાથાના માણસોને પશુબલી બાબતની ફરિયાદ કરીASI હેમદીપ વી. મારવાણીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા, ભાનુબેન ગોહેલ તથા બીજા માણસો ગોંડલ રોડ પર વેલનાથપરા શેરી નંબર 1 શિવ હોટલ પાછળ દેવીપૂજક સમાજનો રખાદાદાનો માંડવો રાખેલ તેમાં પશુ બલી આપેલ હોઇ ત્યાં પીસીઆર વાન તથા સોલવન્ટ ચોકીના સ્ટાફને લઇને ગયા હતાં અને કાર્યવાહી કરતાં હતાં. અમે વિજ્ઞાન જાથાના માણસોને પશુબલી બાબતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ખાતે મોકલી સ્થળ પર કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે હું, PSI આર.એમ.સાખરા, PCR ઇન્ચાર્જ ચંદ્રપાલભાઇ, હોમગાર્ડ રવિ ત્રિપાઠી, સોલવન્ટ ચોકીના હેડકોન્સ. અક્ષયરાજસિંહ રાણા, હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા, કોન્સ. ગૌતમભાઈ રાઠોડ, રામજીભાઇ ટાઢાણી, કોન્સ. પ્રજ્ઞાબેન, વસંતબેન સહિતના હાજર હતાં. ભાવેશ તથા બીજા માણસોએ મને ઢીકાપાટુનો માર માર્યો હતોઆ દરમિયાન દેવીપૂજક સમાજનું 150 થી 200 લોકોનું ટોળુ ત્યાં હાજર હોઇ કાયદો વ્યવસ્થા બગડે નહિ તે માટે તેને સમજાવતાં હતાં. ત્યારે આ સમાજના આગેવાન ભાવેશ વિકાણી તથા તેની સાથેના ટોળાને અમે વિખેરાઇ જવા સમજાવ્યા હતાં. પરંતુ ભાવેશે તેની સાથેના ટોળાને ઉશ્કેરણી કરતાં આ બધાએ ભાવેશની આગેવાનીમાં ગેરકાયદે મંડળી રચી અમારી સામે આવી કહેલુ કે અમારી જ્ઞાતિના રિવાજ-પ્રથા હોઇ તમે કેમ અમારા સમાજને હેરાન કરો છો તેમ કહી ગાળો દેવા માંડતા અમે તથા સાથેના પોલીસ સ્ટાફે ભાવેશ સહિતનાને શાંતિ રાખવા સમજાવ્યા હતાં. આ વખતે ભાવેશે મારો કાંઠલો પકડી લઇ ટોળાની વચ્ચે લઇ ગયેલ અને ભાવેશ તથા બીજા માણસોએ મને ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતોઆ વખતે પોલીસ સ્ટાફના બીજા લોકોએ વચ્ચે પડી મને બચાવ્યો હતો અને ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ટોળામાં સામેલ લોકોએ આ સ્ટાફ સાથે પણ મારકુટ કરી હતી. તેમજ પીસીઆર વેનમાં પણ પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતાં. આ દરમિયાન અમારા સ્ટાફમાંથી કોઇએ પોલીસ સ્ટેશને જાણ કરતાં ડી. સ્ટાફના માણસો આવી ગયા હતાં. આ બધાએ પણ ટોળાને વિખેરાઇ જવા સુચના આપી હતી. પરંતુ ટોળુ વધુ ઉશ્કેરાઇ ગયું હતું અને પોલીસ ઉપર ધોકા-પથ્થરથી હુમલો કરતાં અમે વધુ પોલીસ બોલાવતાં પીઆઇ એ. બી. જાડેજા અને બીજા સ્ટાફના લોકો આવી ગયા હતાં. ફરીથી આ બધાને વિખેરાઇ જવા સમજાવ્યા હતાં. પરંતુ ટોળુ વધુ ઉશ્કેરાઇ ગયું હતું. આથી પોલીસે તેને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. છતાં ટોળુ લોકોની માલમિલ્કતને નુકસાન કરે તેવી ભીતી હોઇ ટોળુ આગળ વધી રહ્યું હોઇ પોલીસ ઇન્સપેક્ટર એ. બી. જાડેજાએ હવામાં એક રમાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. આ કારણે ટોળુ વિખેરાઇ ગયું હતું. ટોળાએ કરેલા હુમલામાં પોલીસકર્મીઓને ઇજા થઇ હતીજો કે ટોળામાં સામેલ દેવીપૂજક સમાજના આગેવાન ભાવેશ તથા તેની સાથેના રાજેશ, કાળુ, હાર્દિક, ગોવિંદ, વિકી, રોીહત, સંદિપ, હિતેષ, સની, દિપક, રાહુલ, પ્રવિણ અને પ્રકાશને અમે પકડી લીધા હતાં બાકીના ભાગી ગયા હતાં. આ ટોળાએ કરેલા હુમલામાં મારામારીમાં મને, પીએસઆઇ સાખરાને, ડી. સ્ટાફના હારૂનભાઇને અને હોમગાર્ડ રવિભાઇને ઇજા થઇ હતી. તેમજ પીસીઆર વેનમાં નુકસાની થઇ હતી. અંધશ્રધ્ધાના નામે બલી ચડાવવાનો ગુનો નોંધવામાં આવ્યોપશુ બલી અંગે અલગથી ગુનો દાખલ કરાયો છે. જેમાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર 1 અંજલી સોસાયટી પાછળ નિલકમલ પાર્કમાં રહેતાં અને વિજ્ઞાન જાથામાં માનદ સેવા આપતાં કાર્યકર ભાનુબેન મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.55)ની ફરિયાદ પરથી હકુ મેઘજીભાઇ વાળા, મુળજી વિરજીભાઇ સાડમીયા, રોહિત ભરતભાઇ સોવસીયા, પ્રતાપ કનુભાઇ સોલંકી અને અરવિંદ મુકેશભાઇ સોલંકી સામે પશુ સંરક્ષણ અધિનીયમ હેઠળ ધાર્મિક વિધીના નામે તિક્ષ્ણ હથીયાર વડે નર બકરા જીવ-7ની અંધશ્રધ્ધાના નામે બલી ચડાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. માંસનું કટીંગ કરી ચોકીમાં રાખ્યું હોવાનું જોવા મળ્યું હતુંસવારે મેં વિજ્ઞાન જાથાના રવિભાઇને જાણ કરી હતી અને પોલીસને પણ ફોન કર્યો હતો. એ દરમિયાન પોલીસ તથા જાથાના ચેરમને જયંત પંડયા આવી જતાં અમે ફરીથી દોલતપરામાં ગયા હતાં. જ્યાં સાત બોકડા કાપીને તેના માથા મઢમાં ચડાવેલા તથા છરીઓ આગળ પડી હોવાનું અને માંસનું કટીંગ કરી ચોકીમાં રાખ્યું હોવાનું જોવા મળ્યું હતું. તેમજ થોડુ માંસ તપેલામાં પણ હતું. ત્યાં હાજર શખ્સોના નામ પુછતાં હકુ મેઘજીભાઇ વાળા, મુળજી વિરજી સાડમીયા, રોહિત ભરતભાઇ સોવસીયા, પ્રતાપ કનુભાઇ સોલંકી અને અરવિંદ મુકેશભાઇ સોલંકી જણાવ્યું હતું. આ પાંચેયએ મળી બકરાની બલી ચડાવવામાં એકબીજાની મદદ કરી હોવાનું કબુલતાં પાંચેય સામે પરવાનગી વગર ધાર્મિક વિધીના નામે અંધશ્રધ્ધાના નામે પશુબલી ચડાવવાનો ગુનો નોંધાવ્યો હતો.
કાલાવડ પોલીસની પ્રશંસનીય કામગીરી:14 તોલા સોનાના દાગીના મૂળ માલિકને પરત કરાયા, કિંમત 12 લાખ
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને DYSP આર.બી.દેવધાની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના PI એન.વી.આંબલીયાના માર્ગદર્શન હેઠળ આ કેસ સામે આવ્યો હતો. અરજદાર વિપુલભાઇ વિઠ્ઠલભાઇ હીરપરા, જેઓ બેંક ઓફ બરોડાની બાજુમાં, સિનેમા રોડ, કાલાવડમાં રહે છે, તેમણે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. તેમના ભાણેજે આર્થિક મુશ્કેલીને કારણે તેમના ઘરેથી સોનાના દાગીના લઈ ગયા હતા અને પરત કરતા ન હતા. પોલીસની મધ્યસ્થીથી આ કેસનો નિકાલ લાવવામાં આવ્યો. લગભગ 14 તોલા સોનાના દાગીના, જેની વર્તમાન બજાર કિંમત આશરે 12 લાખ રૂપિયા છે, તે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા. આ સફળ કામગીરીમાં PI એન.વી.આંબલીયા, HC ઘાનાભાઇ મોરી, HC જીતેનભાઇ પાગડાર, PC રણજીતસિંહ જાડેજા, PC પ્રકાશભાઇ મકવાણા અને WPC ભારતીબેન વાડોલીયાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગાંધીનગરમાં માનવ આશ્રમથી ખારી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઈપલાઈન નાખવાનું કામ માર્ગ અને મકાન વિભાગે શરૂ કર્યું છે. કામગીરી દરમિયાન એક બાજુનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ નવી પાઈપલાઈનથી માનવ આશ્રમ વિસ્તારની સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. હાલ ગરમીની ઋતુમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પ્રયાસોથી ગાંધીનગર લિંક રોડની પશ્ચિમ દિશામાં મોટી પાઈપલાઈન નાખવામાં આવી હતી. હવે રોડની પૂર્વ દિશામાં બીજી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આ બંને પાઈપલાઈન વરસાદી પાણીના સરળ નિકાલમાં મદદરૂપ થશે.
હરસિધ્ધિ માતા મંદિર વિવાદ:હિન્દુ દેવસ્થાન કમિટીના ખજાનચી દિનેશભાઈ પાટણવાડીયાનું રાજીનામું
રાજપીપળાના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજી મંદિરના વહીવટમાં મોટો ફેરફાર થયો છે. હિન્દુ દેવસ્થાન કમિટીના ખજાનચી અને કચેરી અધિક્ષક દિનેશભાઈ પાટણવાડીયાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલા કલેક્ટર કચેરી ખાતે મંદિરના વિકાસ માટે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સંજય કે. મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાંસદ સહિત હિન્દુ દેવસ્થાનના અધ્યક્ષ અને ટ્રસ્ટીઓએ નારાજગી વ્યક્ત કરી બેઠક છોડી દીધી હતી. મંદિર મેનેજરની ભૂમિકાને લઈને ઉભા થયેલા વિવાદમાં સ્થાનિક આગેવાનો અને કમિટી સભ્યોનો વિરોધ જોતાં દિનેશભાઈએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો. તેમણે કલેક્ટર, પ્રાંત અધિકારી અને હિન્દુ દેવસ્થાન કમિટીના અધ્યક્ષ-મામલતદારને લેખિત રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામા પત્રમાં તેમણે અંગત કારણોસર પોતાની જવાબદારી નિભાવી શકવામાં અસમર્થતા દર્શાવી છે. સાથે જ મંદિરના વહીવટમાં તેમને મદદ કરનાર તમામનો આભાર માન્યો છે. હવે આ મહત્વના પદ પર કોની નિમણૂક થાય છે તે જોવાનું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હરસિધ્ધિ માતાજીનું મંદિર રાજપીપળાની કુળદેવી તરીકે જાણીતું છે અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. વર્તમાન કલેક્ટર સંજય કે. મોદી જ્યારે પ્રાંત અધિકારી હતા ત્યારે તેમણે દિનેશભાઈને કચેરી અધ્યક્ષનો વહીવટ સોંપ્યો હતો.
જામનગર શહેરના લાલ બંગલા સર્કલ નજીક આવેલી ન્યુ ચેતના રેસ્ટોરાંમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ખાનગી બેંકના કર્મચારી ભીષ્મરાજ સિંહ જાડેજાએ રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી મંગાવી હતી. થાળીમાં પીરસાયેલા કેરીના રસમાંથી મૃત વંદો નીકળ્યો હતો. ગ્રાહકે આ અંગે રેસ્ટોરાં માલિકને જાણ કરી હતી. પરંતુ માલિકે આ બાબતને ગંભીરતાથી ન લેતા ઉડાઉ જવાબ આપ્યો હતો. આ બાબતે ગ્રાહકે ફૂડ વિભાગને ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. તપાસ બાદ ફૂડ વિભાગે રેસ્ટોરાંને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી છે. રેસ્ટોરાં સંચાલકોમાં પણ ફાફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અન્ય રેસ્ટોરાંને પણ સ્વચ્છતા જાળવવાનો સંદેશ મળ્યો છે.
ગોધરા જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ લાઈન ખાતે 20 મે ના રોજ પોલીસ સ્ટાફ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડૉ. સુજાત વલી અને તેમની ટીમે પોલીસ કર્મચારીઓને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસિસિટેશન)ની તાલીમ આપી. તાલીમ દરમિયાન CPRના સાત મહત્વપૂર્ણ તબક્કાઓની વિગતવાર માહિતી આપવામાં આવી. દરેક તબક્કાનું મહત્વ સમજાવવામાં આવ્યું. CPR મોડેલનો ઉપયોગ કરીને વ્યવહારિક તાલીમ આપવામાં આવી. તમામ પોલીસ કર્મચારીઓએ CPR મોડેલ પર પ્રેક્ટિસ કરી. કાર્યક્રમમાં ભૂકંપ અને આપત્કાલીન સ્થિતિમાં લોકોને બચાવવાની પદ્ધતિઓની પણ માહિતી આપવામાં આવી. સ્ટ્રેચર બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી. લોક વિજ્ઞાન કેન્દ્ર વર્ષ દરમિયાન આવા અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ તાલીમથી પોલીસ કર્મચારીઓ કટોકટીની સ્થિતિમાં લોકોની મદદ કરી શકશે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિનું હૃદય અચાનક બંધ પડી જાય ત્યારે CPRની તકનીક વડે જીવન બચાવી શકશે.
પોરબંદર મહાનગરપાલિકાએ ફાયર સેફટી મુદ્દે કડક વલણ અપનાવવાની શરૂઆત કરી છે. મનપાએ 12 કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગની યાદી તૈયાર કરી હતી. મનપા કર્મચારીઓ અને પીજીવીસીએલની ટીમે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે માત્ર બે બિલ્ડિંગના વીજ કનેક્શન કાપ્યા છે. બાકીના બિલ્ડિંગના માલિકોએ મુદત માગતા મનપાએ 45 દિવસનો સમય આપ્યો છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્ર ફાયર સેફટી અંગે વધુ સતર્ક બન્યું છે. પોરબંદરમાં કેટલીક હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે કેટલીક બિલ્ડિંગોમાં આ સુવિધા ન હોવાથી તેમના વીજ કનેક્શન કાપવાનો નિર્ણય લેવાયો હતો. લોકોનું કહેવું છે કે ઘણી બિલ્ડિંગો જૂની છે અને તેમાં ફાયર સેફટીનો ખર્ચ પરવડે તેમ નથી. કેટલાક કોમર્શિયલ બિલ્ડિંગો ધોરણો વિનાના છે. આવી સ્થિતિમાં ફાયર સેફટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો મુશ્કેલ છે.
પાવરગ્રીડ, પશ્ચિમ ક્ષેત્ર-II, પ્રાદેશિક મુખ્યાલય વડોદરા ખાતે તા. 16 મેથી 31 મે 2025 દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ અભિયાન હેઠળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા, સ્વચ્છતાનું મહત્વ અને પોતાની આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી વિશે જાગૃતિ ફેલાવી હતી. આ રેલી મુખ્ય ઓફિસથી શરૂ થઈ હતી અને મહત્તમ લોકો સુધી પહોંચવા માટે આયોજિત રૂટ દ્વારા આસપાસના વિસ્તારોમાં ફરી હતી. બેનરો અને સંદેશાઓ દ્વારા સહભાગીઓએ પર્યાવરણ અને સ્વચ્છતાના રક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ, સેમિનાર અને સ્વચ્છતા અને ટકાઉ ટેવોને પ્રોત્સાહન આપતા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાવરગ્રીડના એસ.કે. સિંઘ, ચીફ જનરલ મેનેજર (AM), એસ.કે. દાસ, સિનિયર જનરલ મેનેજર (સી એન્ડ એમ), એસ.ડી.સી.એસ. રાવ, સિનિયર જનરલ મેનેજર (PESM), વિનીત કુમાર, જનરલ મેનેજર (વિજિલન્સ) સહભાગી થયા હતા. પાવરગ્રીડના ઘણા અન્ય કર્મચારીઓએ પણ આ રેલીમાં ભાગ લઈ સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
રાજકોટની ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા નાણાકીય વર્ષ 2023-24માં કુલ 16.50 કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ 2024-25 અન્વયે કુલ 21.75 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સાપેક્ષે 5.25 કરોડની વધુ મહેસુલી આવક પ્રાપ્ત કરવામાં આવી છે. જેમાં બિન અધિકૃત ખનીજ ખનનના 288 કેસોમાં રૂ. 5 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત ધી ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017 મુજબ બિન અધિકૃત ખનીજ વહન, ખનન, સંગ્રહ અન્વયે નાણાકીય વર્ષ 2023-24 માં કુલ 238 કેસોમાં રૂ. 3.77 કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ 2024-25 અન્વયે કુલ 288 કેસોમાં રૂ. 5.02 કરોડની આવક થઈ છે. વધુમાં નાણાકીય વર્ષ 2023-24 પર્યાવરણીય નુકશાન પેટેના ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં કુલ રૂ. 1.72 કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ 2024-25 અન્વયે કુલ રૂ. 2.24 કરોડની આવક થઈ છે. રોયલ્ટી તેમજ અન્ય ઓનલાઈન આવક પેટે નાણાકીય વર્ષ 2024-25 અન્વયે રૂ. 16.72 કરોડની આવક કરી છે. ગત નાણાંકીય વર્ષમાં રોયલ્ટી તેમજ અન્ય ઓનલાઈન આવક પેટે કુલ રૂ. 12.69 કરોડની આવક થઇ હતી. જે પણ વધારે છે. આમ, રાજકોટ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ પ્રભવ જોષીના નેતૃત્વમાં અને ભુસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આ કામગીરી કરાઈ હતી.
પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના ટ્રાન્સપોર્ટની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી. પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટની તપાસ દરમિયાન ત્રણ દરવાજા ઘી બજારની ત્રણ પેઢીઓનો સ્ટોક તપાસવામાં આવ્યો. આ પેઢીઓમાં મોદી દિપેશ શરદભાઈ, ઘીવાલા સંદીપકુમાર રસીકલાલ અને ઘીવાલા બાબુલાલ ચીમનલાલ કંપનીનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન કુલ 5 શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા. અધિકારીઓએ આશરે 405 કિલો શંકાસ્પદ ઘી સીઝ કર્યું, જેની અંદાજિત કિંમત રૂ. 2.36 લાખ છે. લેવામાં આવેલા નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ડેઝીગ્નેટેડ ઓફીસરના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી શહેરમાં ભેળસેળયુક્ત અને અયોગ્ય ખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવાના પ્રયાસ અંતર્ગત કરવામાં આવી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લારી-ગલ્લા ઉપાડીને તેમને આર્થિક અને માનસિક તકલીફ આપવામાં આવી રહી છે. આ મુદ્દે વડોદરા મહાનગર પાલિકાને આવેદનપત્ર આપવા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જોકે, તેમની રજૂઆત ન સાંભળવામાં આવતાં યુથ કોંગ્રેસે સભા પૂર્વે નારા લગાવી હોબાળો મચાવ્યો હતો. આ મામલે યુથ કોંગ્રેસના ચાર કાર્યકરો સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુથ કોંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો મનપાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતાવડોદરા મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ હરોહન રમેશભાઈ ભંડારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 19 મેના રોજ 4.45 વાગ્યે યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મેયરની કચેરીના ગેટથી મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા અને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા અને સાંજે 5 વાગ્યે સભા શરૂ થતાં યુથ કોંગ્રેસના આગેવાનો પવન ગુપ્તા, નિખિલ સોલંકી, મુનાફ ચીમનવાલા, યશ રાજપૂત અને અન્ય અંદાજે 10 કાર્યકરો સભાગૃહની નજીક આવ્યા હતા. મારી અને અમારા સ્ટાફ સાથે ધક્કામુક્કી કરી હતીતેઓએ સભાગૃહની અંદર જવાનો પ્રયાસ કર્યો અને જોરજોરથી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓએ મારી સાથે અને અમારા સ્ટાફ સાથે ધક્કામુક્કી કરી હતી અને અમારી કાયદેસર ફરજમાં અડચણ ઊભી કરી હતી. જેથી યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલ ધક્કામુક્કી અને ફરજમાં અડચણ રૂપ વર્તન અંગે મેં પવન ગુપ્તા, નિખિલ સોલંકી, મુનાફ ચીમનવાલા અને યશ રાજપૂત સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ડાંગ જિલ્લામાં સમર યોગ કેમ્પનો પ્રારંભ કર્યો છે. કેમ્પ ત્રણ સ્થળોએ યોજાશે - પ્રાથમિક શાળા ગાઢવી, એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ ચિંચલી અને ગાંધી મેદાન વઘઇ. દરરોજ સવારે 8થી 10 વાગ્યા સુધી 15 દિવસ માટે આ કેમ્પ ચાલશે. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી અને સાઉથ ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શનમાં કેમ્પનું આયોજન થયું છે. બોર્ડના સર્ટિફાઇડ યોગ કોચ અને ટ્રેનર્સ બાળકોને તાલીમ આપશે. કેમ્પમાં બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. સાથે જ નૈતિક મૂલ્યો અને સંસ્કારનું સિંચન કરવામાં આવશે. નિયમિત હાજરી આપનાર બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના સમર યોગ કેમ્પનું સંચાલન ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર પ્રિયંકા ભોયે કરી રહ્યા છે. યોગ બોર્ડનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ અને નિરોગી સમાજનું નિર્માણ કરવાનો છે.
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલીવાર ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે અને અમદાવાદ, દાહોદ, ભૂજમાં આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. ત્યારે દાહોદ જતાં પહેલાં વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ બહાર મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવાનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. તેમ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીના સન્માન અને સ્વાગત કાર્યક્રમનું આયોજનમેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડોદરા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે બેઠક મળી હતી. આ માટે વડોદરા મહાનગર પાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટ ખાતે એક કિલોમીટર સુધી મહિલાઓ અને નગરજનો ઉભા રહી સ્વાગત કરશે. કાર્યક્રમના આયોજનને લઇ ચર્ચા કરવામાં આવશેમ્યુનિસીપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું છે કે, આગામી 26મી મેના રોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે આવવાના છે. ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેને લઇને વડાપ્રધાનનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે, અંદાજીત 15 મિનિટનો કાર્યક્રમ રહેશે. મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાન દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે, ત્યારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પણ રોકાશે, જ્યાં તેમના સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાશે. આવતી કાલ તા. 21ના રોજ બેઠક કરવામાં આવશે. જેમાં કાર્યક્રમના આયોજનને લઇ ચર્ચા કરવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે તા. 26ના રોજ મહિલાઓ અને નગરજનો મળી 25થી 30 હજાર લોકોને ભેગા કરવા માટે કાઉન્સિલરો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનોને જવાબદારી આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે. વાવ અને સુઈગામ તાલુકાના તમામ 122 ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. વાવના 43 અને સુઈગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી અને શાળાઓમાં આ સિસ્ટમ લગાવવામાં આવી છે. સાયરન સિસ્ટમ સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના જણાવ્યા મુજબ, શરૂઆતમાં માત્ર 22 સરહદી ગામોમાં જ આ સિસ્ટમ હતી. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં આગોતરી ચેતવણી માટે પોલીસ સ્ટેશનોમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ તાલુકા હેડક્વાર્ટર પર 8 કિલોમીટરની રેન્જવાળા સાયરન લગાવવાનું કામ ચાલી રહ્યું છે. સુઈગામના પ્રાંત અધિકારી ડૉ. અરવિંદકુમાર પ્રજાપતિએ જણાવ્યું કે સાયરન સિસ્ટમ માટે મોક ડ્રિલ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે આ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ઇડર ટાઉન હોલ ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત કેચ ધ રેન અને ટ્રી પ્લાન્ટેશનનો એક દિવસીય વર્કશોપ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જળસંચય અને વૃક્ષારોપણનું યોગ્ય આયોજન કરવાનો હતો. વર્કશોપમાં અટલ ભૂજલ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ઇડર અને વડાલી વિસ્તારમાં ભૂગર્ભ જળની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ઈડર તાલુકાના 30થી વધુ પર્યાવરણ પ્રેમીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ પી.સી પટેલ અને ઇડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત કેમ્પેનના આયોજક સતિષભાઈ પટેલ, ઇડર અને વડાલીના ગામોના સરપંચો, દૂધમંડળી ચેરમેન, સેવા મંડળી ચેરમેન અને અન્ય આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી.
બોટાદ જિલ્લામાં 17 મે થી 16 જૂન 2025 સુધી વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ તમારું બી.પી. ચોક્સાઈથી માપો, નિયંત્રિત રાખો અને દીર્ઘ આયુષ્ય મેળવો રાખવામાં આવી છે. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારીએ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા છે. કેમ્પમાં BMI ચકાસણી દરમિયાન ઘણા લોકોમાં નિર્ધારિત પ્રમાણ કરતાં વધુ BMI જોવા મળ્યું છે. લોકોને ડાયાબિટીસ અને બીપીની નિયમિત તપાસ અને સારવારની અગત્યતા સમજાવવામાં આવી છે. અનિયમિત સારવારથી સ્ટ્રોક, હૃદયરોગ અને કિડનીની બીમારીઓની શક્યતા વિશે માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે ગ્રામજનોના બીપી અને ડાયાબિટીસની તપાસ કરી છે. લોકોને આઈ.ઈ.સી. પત્રિકા દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અનિયમિત ખાનપાન, ફાસ્ટફૂડ, તૈલી પદાર્થો અને તણાવભર્યા જીવનને કારણે હાયપર ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે બોટાદ આરોગ્ય વિભાગ આખા મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં RTE પ્રવેશ માટે ખોટા આવકના દાખલા કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. ભારચરવાડાના દર્પણ પટેલના નામે ખુલેલા આ કૌભાંડમાં અત્યાર સુધી 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ મુખ્ય આરોપી સહિત અન્ય વાલીઓ ફરાર છે. 19 દિવસથી ફરાર દર્પણ પટેલે નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલની દલીલો અને પોલીસે લીધેલા વાલીઓના નિવેદનો તેમજ PI ગઢવીના જવાબોના આધારે કોર્ટે જામીન અરજી નામંજૂર કરી. આ કેસમાં અન્ય એક આરોપી અનિલ રોહિતે પણ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જો કે, જામીન નામંજૂર થવાની શક્યતાને કારણે તેણે પોતાની અરજી પરત ખેંચી લીધી છે. સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે આરોપીએ માત્ર દાખલા અપલોડ કર્યા હોવાની દલીલ કરી હતી. પરંતુ વાલીઓના નિવેદનમાં દર્પણ પટેલ પાસેથી ખોટા દાખલા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. હવે દર્પણ પટેલ પાસે હાઈકોર્ટમાં જામીન અરજી કરવી અથવા પોલીસ સમક્ષ સરેન્ડર થવું એ બે જ વિકલ્પ બાકી રહ્યા છે.
મોરબીમાં જુગારની બે રેડ:રણછોડનગર અને જૂના બસ સ્ટેશન પાસેથી 9 શખ્સ પકડાયા, રૂ.20,700 જપ્ત
મોરબી પોલીસે રણછોડનગર અને જૂના બસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બે અલગ-અલગ રેડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ 9 શખ્સોને પકડવામાં આવ્યા છે. રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને પકડવામાં આવ્યા છે. આ શખ્સોની ઓળખ કાનજીભાઈ શ્રીમાળી (52), અર્જુનસિંગ રાજપુત (18), જયેશ ત્રિવેદી (21), શોકત સાઇચા (25) અને વિજય રાવા (35) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી રૂ.18,000ની રોકડ જપ્ત કરી છે. બીજી રેડ જૂના બસ સ્ટેશન પાસેના રીક્ષા સ્ટેન્ડમાં કરવામાં આવી હતી. અહીંથી મીનપ્રસાદ ભુશાલ (24), સાગરપુરી ગોસ્વામી (27), ઇમરાનભાઈ પરમાર (42) અને મહમદભાઈ પરમાર (41)ને પકડવામાં આવ્યા છે. તેમની પાસેથી રૂ.2,700ની રોકડ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓ મોરબીના રહેવાસી છે. બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
કચ્છમાં તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજ શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે. ગાંધીધામ અને અંજાર શહેર વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે. શહેરમાં વિદ્યુત પંખા અને કુલર પણ બેઅસર સાબિત થઈ રહ્યા છે. લોકો ગરમી અને બફારાથી પરેશાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદની સીઝન નજીક આવી રહી છે ત્યારે વાતાવરણ વધુ ઉષ્ણ બની રહ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.
દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોના એ માથું ઊંચક્યું છે ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં આજે 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ સાત દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. એશિયાના સિંગાપુર- હોંગકોંગ સહિતના દેશમાં કોરોનાના કેસો નોંધાયા છે. ભારતમાં મુંબઈમાં 50થી વધુ કેસો નોંધાયા છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. અમદાવાદના વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. તમામ સાત દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. મણીનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં ચાર દર્દીઓ અને બાકીના ત્રણ દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. દર્દીઓમાં કોઈ નવો વેરિએન્ટ હાલમાં જોવા મળ્યો હોય તેવું જણાવ્યું નથી જોકે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તાપી જિલ્લાના ત્રણ તાલુકાઓમાં બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનો પ્રારંભ કર્યો છે. આ કેમ્પ વ્યારા, વાલોડ અને ઉચ્છલમાં યોજાશે. યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં 200 સ્થળોએ આ શિબિર યોજાઈ રહી છે. 7થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસની આ શિબિરમાં સવારે 7થી 9 દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. શિબિરમાં યોગ અને પ્રાણાયામ ઉપરાંત રમતો, ભગવદગીતાના શ્લોકોનું પઠન જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. બાળકોની શારીરિક-માનસિક તંદુરસ્તી અને એકાગ્રતા વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. યોગ બોર્ડ બાળકોના આહાર પર પણ વિશેષ ધ્યાન આપે છે. બાળકોને કોલ્ડ ડ્રિંક્સ અને જંક ફૂડથી દૂર રાખી સાત્વિક આહાર તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. શિબિર દરમિયાન બાળકોને સાત્વિક નાસ્તો આપવામાં આવશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવાનો છે. યોગાભ્યાસથી બાળકોનું શરીર લચીલું બને છે અને તેઓ મેધાવી બને છે. શિબિરના અંતે બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે તાપી જિલ્લા યોગ કોર્ડિનેટર જ્યોતિબેન મહાલેનો 9909118870 પર સંપર્ક કરી શકાય છે.
પાલનપુરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સેન્ટ્રલ GST કચેરીના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા, વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીના પિતાએ ઇ-કોમર્સ વ્યવસાય શરૂ કરવા માટે GST નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. આરોપી ઇન્સ્પેક્ટરે અરજદારને ફોન કરીને સ્થળ મુલાકાત માટે જાણ કરી. ત્યારબાદ ફરિયાદીના ઘરે જઈને વેરિફિકેશન કર્યું અને ફોટોગ્રાફ્સ લીધા. પોઝિટિવ રિપોર્ટ આપવા માટે આરોપીએ 2000 રૂપિયાની લાંચની માગણી કરી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવ્યું અને શ્રદ્ધા રેસીડેન્સી પાસેના જાહેર રસ્તા પર આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો. ACB પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. ચૌધરીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો હોવાનો દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. અત્યાર સુધી 35-40 જેટલા લોકોએ આપઘાત કર્યો હોવાની માહિતી સાથે શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ત્રણથી વર્ષથી તેના પર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માગ લોકો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સરકારના માર્ગ અને મકાન વિભાગ તરફથી બ્રિજ પર 184.58 લાખના ખર્ચે 1.462 કિમી બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવાની જાહેરાત કરાઈ છે.ભાસ્કરનો રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો- ₹430 કરોડનો નર્મદા મૈયા બ્રિજ ‘સુસાઇડ પોઈન્ટ’! ગોલ્ડન બ્રિજ સમાંતર નવો બ્રિજ છેભરૂચ જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ઓલ્ડ એન.એચ. નં. 8 મહત્વનો માર્ગ છે. જેના પર ગોલ્ડન બ્રિજ સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ પર ફેન્સિંગ ન હોવાના કારણે સમયાંતરે અનિચ્છીય ( આત્મહત્યા ) જેવી ઘટનાઓ બનતી આવી છે. જે સમસ્યાને અનુસંધાને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તેમજ સામાન્ય જનતાની તરફથી આવેલી રજૂઆતોને પ્રાયોરિટીમાં લઈ જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના પરિણામે સૂચવામાં આવેલી દરખાસ્ત માટે સરકારે ત્વરિત નિર્ણય લઈ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરીઅત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડિંગ એન્ડ ફિક્સિંગ ( G.I.) વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જેના પગલે બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર 1.462 કિમી બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવા આવનાર છે તેમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા જણાવાયું છે. લોકોએ લોખંડની જાળી લગાવવા માગ કરી હતીભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો છે. શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ત્રણથી વર્ષથી તેના પર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માગ લોકો કરી રહ્યા છે. છતાંય તંત્ર દ્વારા હજીય કોઈ પણ કામગીરી નહીં કરાતા હજીય લોકો બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે તેવી માગ ભરૂચવાસીઓ અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 2015માં ફોરવે બ્રિજ બનાવાયો હતોભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર નિર્મિત રૂ. 430 કરોડના ખર્ચે બનેલો નર્મદા મૈયા બ્રિજ આજકાલ આત્મહત્યાના બનાવો માટે ચર્ચામાં છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વધતાં વાહન વ્યવહારના દબાણને ધ્યાને લઈ વર્ષ 2015માં ચાર માર્ગીય બ્રિજનું નિર્માણ શરૂ થયું હતું અને 6 વર્ષ બાદ, 12 જુલાઈ 2021ના રોજ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ હાલની સ્થિતિએ આ બ્રિજ જાણે ‘સુસાઇડ પોઈન્ટ’માં પરિવર્તિત થયો હોય તેમ લાગી રહ્યું છે. માછીમારો ઘણીવાર લોકોને બચાવી લે છેઆ બ્રિજ પરથી વારંવાર લોકો નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલીકવાર તાત્કાલિક મદદ મળતા નાવિકોએ કેટલાકને બચાવ્યા પણ છે, જ્યારે ઘણા લોકો મોતને ભેટ્યા છે. ચિંતાજનક વાત એ છે કે અહીં ભરૂચ જ નહીં,પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો મૃત્યુને વ્હાલું કરવા આવી રહ્યા છે.
વર્ષ 2022માં તત્કાલીન એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાળી સામે CBI, ACB પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં તેને જામીન મેળવવા માટે વર્ષ 2023માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂક્યું છે. અગાઉ કોર્ટે આરોપીને આગોતરા જામીન આપ્યા હતા પરંતુ, સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યા હતા. જેથી, તપાસ પૂર્ણ થયા બાદ રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી. ઇન્કમટેક્સ કમિશનરે 30 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતીઆરોપીએ ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેનું ઓડિયો રેકોર્ડિંગ પણ ફરિયાદી પાસે ઉપલબ્ધ હતું. ACBએ છટકું ગોઠવીને આરોપીને પકડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે ભાગી નીકળ્યો હતો, પુરાવાના નાશ માટે તેણે પોતાના બંને ફોન સાબરમતી નદીમાં ફેંકી દેવડાવ્યા હતા. અમદાવાદના સફલ કન્સ્ટ્રક્શનની વર્ષ 2021માં વધારાની 50 કરોડ આવક જાહેર થઈ હતી. જેમાં તપાસ દરમિયાન આરોપી એડિશનલ ઇન્કમટેક્સ કમિશનરે 30 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. CBIએ આરોપીના જામીનની શરતોમાં ફેરફાર કરવા ગ્રામ્ય કોર્ટમાં અરજી કરીહાઇકોર્ટે નોધ્યું હતું કે, આ કેસમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે ત્યારે 10 હજારના બોન્ડ ઉપર આરોપીને શરતી જામીન આપવામાં આવ્યા હતા. આ શરતો પૈકી બે શરતોમાં ફેરફાર કરવા CBIએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. આ શરતોમાં ફેરફાર કરવા ટ્રાયલ કોર્ટને સત્તા હોવાનું હાઇકોર્ટે જામીન હુકમમાં નોંધ્યું હતું. જોકે, સામાન્ય રીતે આરોપીઓ જામીન શરતોમાં ફેરફાર કરવા અરજી કરતા હોય છે. CBIએ કહ્યું હતું કે, હાઇકોર્ટે આરોપીની જામીન અરજી સ્વીકારતી વખતે તે ગુજરાત છોડશે નહીં અને ગુજરાત છોડશે તો પહેલા ટ્રાયલ પોતે જાણ કરશે. આ ઉપરાંત તેના વર્તમાન રહેણાંકના એડ્રેસમાં ફેરફાર કરશે નહીં તેના માટે પણ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. આ બંને શરતોમાં ફેરફાર કરવા માટે અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે આરોપીની ગુજરાત બહાર જવાનુ છે એમના માટેની અરજી અગાઉથી મંજૂર કરી હતી. કોર્ટના હુકમનો ઉપયોગ આરોપી પોતાના માટે કરી રહ્યો છેCBI કહ્યું હતું કે, ફરિયાદીને આરોપી તરફથી ઇન્ડાયરેક્ટ ફરિયાદ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તે અમદાવાદ અને ગુજરાતમાં ઉચ્ચ હોદા પર રહ્યો હોવાથી પોતાના સંપર્કોનો દુરુપયોગ કરી રહ્યો છે. આરોપીનું જોરહાટ ખાતે ટ્રાન્સફર થયું હોવા છતાં પણ તે જતો નથી. જેથી તેને ચાર્જ મેમો પણ આપવામાં આવ્યો હતો. જ્યારે આરોપીએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલમાં દાખલ કરેલા કેસમાં એવી વાત આગળ ધરી હતી કે, ગુજરાત હાઇકોર્ટે તેને જામીન આપતી વખતે ગુજરાત નહીં છોડવાની શરત મૂકી છે. જેથી તે ટ્રાન્સફર સ્વીકારી શકતો નથી. આમ, કોર્ટના હુકમનો ઉપયોગ આરોપી પોતાના માટે કરી રહ્યો છે. આરોપી સામે ખાતાકીય પગલામાં કોર્ટની આ શરત બંધન થઈ રહી છે. જોકે, આરોપીના વકીલે સામે દલીલ કરી હતી કે, આ અરજી ખરેખર તપાસ એજન્સી નહીં પરંતુ, મૂળ ફરિયાદી દ્વારા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. અગાઉ જ્યારે પણ આરોપીએ ગુજરાત બહાર જવાની અરજી કરી હોય ત્યારે CBIના સરકારી વકીલ તેનો વિરોધ કરતા આવ્યા છે અને હવે સામે ચાલીને આ શરતમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે. વળી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલે મેરીટના આધારે અરજદારનું ટ્રાન્સફર રોક્યું છે. કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર હાલમાં સસ્પેન્ડ છે. તેમનું જોરહાટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેઓ પુરાવા અને સાહેદો સાથે કોર્ટના હુકમના ઓથા હેઠળ ચેડા કરી શકે નહીં. અગાઉ પણ તેને 8 વખત ગુજરાત છોડવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે આ શરતોને કાયમી ફેરફાર કરવો જરૂરી છે. આખરે કોર્ટે ગુજરાતની જગ્યાએ ભારત નહીં છોડવા અને વર્તમાન સરનામાની જગ્યાએ જ્યારે પણ સરનામું બદલે ત્યારે ટ્રાયલ કોર્ટ અને તપાસ અધિકારીને 7 દિવસમાં જણાવવા હુકમ કર્યો હતો.
ઈન્ડિયન ફોક કાર્નિવલ:અમદાવાદમાં 30 મેથી દેશભરના 1000 લોક કલાકારોનો ત્રિદિવસીય મહોત્સવ યોજાશે
ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ પૂરું પાડવા માટે ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 30-31 મે અને 1 જૂન દરમિયાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં યોજાશે. કાર્નિવલમાં ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ અને મહારાષ્ટ્રના કલાકારો પોતાની સાંસ્કૃતિક વિરાસત રજૂ કરશે. પ્રથમ દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને અંતિમ દિવસે વિવિધ રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો રજૂ થશે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના જણાવ્યા મુજબ, આ સંસ્થા સાથે 5,000થી વધુ લોક કલાકારો જોડાયેલા છે. મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાદવે જણાવ્યું કે આ કાર્યક્રમ નવી પેઢી સુધી લોકકલાને પહોંચાડવાનો પ્રયાસ છે. કાર્યક્રમમાં વિશાળ LED સ્ક્રીન, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન બે વર્કશોપ, બે આર્ટ ગેલેરી, દસથી વધુ એવોર્ડ અને 50થી વધુ પરંપરાગત નૃત્ય પ્રકારો રજૂ થશે. કલાપ્રેમીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. પાસ માટે 9016031743 નંબર પર સંપર્ક કરી શકાય છે.
પાટણ એલસીબી પોલીસે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 4,37,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ અધિક્ષક વી.કે.નાથીની સૂચના મુજબ એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસને મળેલી બાતમી મુજબ બનાસકાંઠાના સમૌ ગામના કેટલાક શખ્સોએ ઠાકરાસણ અને કનેસરા ગામની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મુકેશસિંહ જાદવ (વેળાવાપુરા સમૌ), અર્જુનસિંહ જાદવ (અમરાણીપુરા સમૌ), પંકજસિંહ જાદવ (અમરાણીપુરા સમૌ) અને સુરેશજી ઠાકોર ઉર્ફે પપ્પુ (લાલપુર, સિધ્ધપુર)નો સમાવેશ થાય છે. આરોપીઓએ ઠાકરાસણ ગામની પ્રાથમિક શાળામાં એક વખત અને કનેસરા ગામની પ્રાથમિક શાળામાં બે વખત ચોરી કરી હતી. જબ્બરસિંહ જાદવ અને લીલુસિંહ જાદવ (બંને અમરાણીપુરા સમૌના રહેવાસી) હજુ ફરાર છે. પોલીસે આરોપીઓની ધરપકડ BNSS કલમ-35(1)E મુજબ કરી છે અને મુદ્દામાલ BNAS કલમ-106 મુજબ કબજે કર્યો છે.
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દશ ગામ દીઠ એક ફરતા દવાખાના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજય ઢોલાએ ભાવનગર જિલ્લામાં 1962 સેવાની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મહાનગરપાલિકાની હદ અને જિલ્લાના 414 ગામોમાં પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ અંતર્ગત જિલ્લામાં 9 નવી યુનિટ કાર્યરત છે. આ યુનિટ દ્વારા પશુપાલકો અને ખેડૂતોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કમિટીએ ત્રણેય પ્રોજેક્ટ - દશ ગામ દીઠ એક ફરતું દવાખાનું, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ વેટરનરી યુનિટની કામગીરીની સરાહના કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ડો. કલ્પેશ બારૈયા, ડો. હિતેશભાઈ ખેર અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજયકુમાર ઢોલા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ કરુણા અભિયાન અંતર્ગત અબોલ જીવોને બચાવવાની કામગીરીને બિરદાવી હતી.
આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે જાન્યુઆરીથી એપ્રિલ 2025 દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત મનપા વિસ્તારમાં 603 દુકાનો અને એકમોનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો પાસેથી કુલ 8,29,170 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સાથે જ 3665.30 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ તમામ દુકાનદારો અને એકમોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. સરકારના પ્લાસ્ટિક વિરોધી અભિયાનમાં સહયોગ આપવા અને દુકાનોની આસપાસ સ્વચ્છતા જાળવવા પણ જણાવ્યું છે. સેનિટેશન વિભાગે જાહેર કર્યું છે કે દુકાનો અને એકમોમાં પ્લાસ્ટિક વપરાશની ચકાસણી નિયમિત રીતે કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ચોમાસા પૂર્વે જળ સંચયન:રાજકોટ જિલ્લામાં 66 તળાવો ઊંડા ઉતારાશે, 13 ચેકડેમોના રીપેરીંગ કરાશે
રાજ્યમાં ચોમાસાના પાણી થકી ભૂગર્ભ જળસંચય કરવાના મુખ્ય હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન -કેચ ધ રેઈન - 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચોમાસા પૂર્વે જળસંચયનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલ જળસંપત્તિ વિભાગના 145 જેટલાં કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 66 તળાવો ઊંડા ઉતારાશે, 13 ચેકડેમોના રીપેરીંગ કરાશે. 39 નદીઓ તથા એક વોકળાની સાફસફાઈ કરાશેરાજકોટ જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંપત્તિ વિભાગના વિવિધ પ્રકારના 154 જેટલા કામોમાંથી 145 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ચેકડેમ ડીસીલ્ટીંગનાં 20 કામો, ચેકડેમ રીપેરીંગનાં 13 કામોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 66 તળાવો ઊંડા ઉતારવામાં આવશે. એક નદીને પુનઃજીવિત કરવામાં આવશે, 39 નદીઓ તથા એક વોકળાની સાફસફાઈ કરાશે. અનુશ્રવણ તળાવની કામગીરી સંપન્ન અત્યાર સુધીમાં જળાશય ડીડીસીલ્ટીંગનાં 2 કામો, બે તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબુતીકરણની કામગીરી અને એક અનુશ્રવણ તળાવની કામગીરી સંપન્ન થઈ ગઈ છે. જ્યારે 102 કામો પ્રગતિ હેઠળ છે. મહત્ત્વનું છે કે, આ કામોમાંથી 67 કામો પંચાયત (લોકભાગીદારી)થી કરાશે, જયારે બે કામો પંચાયત વિભાગ દ્વારા થશે. 61 કામો રાજ્ય (લોકભાગીદારી) તથા 15 કામો રાજ્ય (વિભાગ) દ્વારા થશે.
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અરજણ ડાંગરનું આજે બપોરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર વાગડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. માંજુવાસ ગામના વતની અને રાપર ખાતે રહેતા અરજણ મળતાવડા સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે બે ટર્મથી સેવા આપી રહ્યા હતા. તેઓ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં પણ હોદ્દેદાર તરીકે કાર્યરત હતા. ગઈકાલે અરજણ તેમના મિત્ર સાથે બાઈક પર માંજુવાસથી આડેસર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. સારવાર દરમિયાન આજે બપોરે તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. તેમની સાથે અકસ્માતમાં ઘવાયેલા મિત્રનું પણ નિધન થયું છે. એક સપ્તાહ પહેલાં જ તેમની પુત્રીના લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થાય તે પહેલાં જ તેમનું અવસાન થયું છે. વૃજવાણી ધામમાં પણ તેઓ મહત્વનો હોદ્દો ધરાવતા હતા.
ગીર સોમનાથમાં સિંહની હત્યાનો પ્રયાસ:સિદ્ધિ સિમેન્ટ કંપનીના કર્મચારી સામે ગુનો દાખલ, આરોપી ફરાર
સુત્રાપાડાના મોરાસા ગામની સિદ્ધિ સિમેન્ટ કંપનીની માઇનિંગ સાઇટ પર સિંહની હત્યાનો પ્રયાસ કરવાના ગંભીર કેસમાં વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગે પાધરુકા ગામના વિજય જખૌત્રા નામના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આરોપીએ એક વર્ષ પહેલા સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. વેરાવળ રેન્જના RFO કે.ડી. પંપાણીયાના જણાવ્યા અનુસાર, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વાયરલ થયા બાદ વન વિભાગે કાર્યવાહી કરી છે. આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 2(16), 2(36), 2(37), 9, 39, 50 અને 51 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાં જ આરોપી ફરાર થઈ ગયો છે. ઘટનામાં વપરાયેલું વાહન (ડોઝર) હાલ રિપેરિંગ હેઠળ છે. રિપેરિંગ બાદ વાહન સુત્રાપાડા કચેરી ખાતે જમા કરાવવા કંપની મેનેજમેન્ટે મૌખિક સહમતિ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કંપનીના બચાવ માટે કંપની માં કોન્ટ્રાકટ ધરાવતા અને આર્થિક લાભ મેળવતા સ્થાનિક રાજકીય નેતા દ્વારા વનમંત્રી સુધી દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વાયરલ વીડિયોના પુરાવાના કારણે કાર્યવાહી અનિવાર્ય બની જતા અંતે લાંબા વિલંબ બાદ પણ ગુન્હો દાખલ થયો હતો. જેના કારણે સ્થાનિક નેતા ની નીતિરીતિને લઈ લોકોમાં અનેકવિધ ચર્ચાઓ ઉઠી છે.
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના માણેજ સ્થિત મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે બે દિવસીય વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યશાળામાં રાજ્યભરમાંથી 300થી વધુ BRC અને URC કો-ઓર્ડિનેટર્સ જોડાયા. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કાર્યશાળાના અધ્યક્ષપદેથી સંબોધન કર્યું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-2047ના વિઝનને સાકાર કરવા શિક્ષકોને આહ્વાન કર્યું. મંત્રીએ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીત કુમારે કાર્યશાળાની રૂપરેખા રજૂ કરી. તેમણે જણાવ્યું કે કો-ઓર્ડિનેટર્સને સમગ્ર શિક્ષાના હેતુઓ, ગુણવત્તાલક્ષી કાર્યક્રમો અને નવા પ્રવાહોથી માહિતગાર કરવામાં આવશે. શાળા મુલાકાત, વર્ગખંડ અવલોકન, પ્રજ્ઞા અભિગમ અને સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. કાર્યક્રમમાં એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ.એન. પટેલ, નાણા નિયંત્રક બિંદુબેન કોડિયાતર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આજથી બીજા તબક્કાનું ડિમોલિશન શરુ કરાયું અમદાવાદના વિવાદીત ચંડોળા તળાવમાં આજથી ફરી ડિમોલિશન હાથ ધરાયું.. બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસનાં દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે.કાટમાળ હટાવી ત્યાં દીવાલ બનાવાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ડિમોલિશન વચ્ચે સ્થાનિકોનો સરકાર પર રોષ ચંડોળા તળાવ પર ચાલી રહેલા ડિમોલીશન વચ્ચે સ્થાનિકો સરકાર પર રોષે ભરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 6 દિવસ આંદોલનમાં કોંગ્રેસના વિવિધ કાર્યક્રમ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની પહેલી વરસી નજીક આવતા કોંગ્રેસે પિડિતોને ન્યાય અપાવવા આજથી પાંચ દિવસ સુધી કોંગ્રેસનું આંદોલન.. જો કે આજે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા જ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવાઈ.. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 71 કરોડના મનરેગાકૌભાંડમાં આરોપીઓ કોર્ટમાં રજૂદાહોદ મનરેગાકૌભાંડના ચારેય આરોપીઓેને આજે કોર્ટમાં રજૂ કરાયા.. બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ અને ટીડીઓ રસિક રાઠવાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જ્યારે એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 15 સેકન્ડનો ખેલ ને મોતના મોઢામાં જીંદગી! જામનગર-રાજકોટ હાઇવે પર 20 જેટલા યુવકોએ બાઇક પર સૂતા સૂતા રેસ લગાવી હતી. આ દરમિાયન એક યુવક સામેથી આવતી ટ્રક સાથે અથડાતા આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી મહુવામાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતે 80 વિઘા જમીનમાં ડુંગળીનો ઉભો પાક નષ્ટ કરી દીધો. તો ઓલપાડમાં કમોસમી વરસાદમાં પલળી ગયેલી ડાંગરને ખેડૂતો રાત્રે રસ્તા પર સુકવવા મજબૂર બન્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો GCAS પર વેરીફિકેશન અને અરજી માટે 23 અને 21 મે જીકાસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના અભ્યાક્રમોના પ્રવેશ માટે વેરીફિકેશનની છેલ્લી તારીખ 23 મે છે . જ્યારે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21મે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મંજૂરી પામેલા 10માંથી એક પણ રેનબસેરા ન બન્યા ડીસામાંથી મનરેગા જેવું રેનબસેરા કૌભાંડ સામે આવ્યું..2019થી 2023-2024 દરમિયાન મંજૂર થયેલા 10 રેનબસેરા પૈકી એકપણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ.આ મામલે TDOએ તપાસ શરુ કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ગ્રામીણ બેન્કમાં ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ સુરતની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળા દિવસે પિસ્તોલની અણીએ લૂંટારુએ લૂંટ ચલાવી.કર્મચારીઓને રૂમમાં પૂરી 4.75 લાખની લૂંટ ચલાવી, આરોપીને પકડી પાડવા પોલીસે પાંચ ટીમો બનાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ચોમાસા પહેલા જ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ હવામાન નિષ્ણાતે રાજ્યમાં ચોમાસા પહેલા જ રાજ્યમાં 2થી 4 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી છે. આ પ્રમાણે જ આજે ધારીમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
તાપી જિલ્લાના વ્યારા ખાતે એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે 'ગુણવત્તા યાત્રા'નો પ્રારંભ થયો છે. આ યાત્રા દ્વારા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય છે. ગુણવત્તા યાત્રા દરમિયાન ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને નિષ્ણાંતોને એક મંચ પર લાવવામાં આવ્યા. કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ઉદ્યોગકારોને ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ZED અને લીન પ્રમાણપત્રો તેમજ પર્યાવરણના નિયમો અંગે પણ માહિતી આપવામાં આવી. આ યાત્રા આગામી 55 દિવસ સુધી ગુજરાતના 9 જિલ્લાઓમાં યોજાશે. જેમાં સુરત, વડોદરા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાજ્યના MSME ઉદ્યોગોને ZED, ISO, Lean સર્ટીફિકેટ અને NABL એક્રેડિટેશન મેળવવામાં મદદ કરવામાં આવશે. આ પહેલ 2047 સુધીમાં વિકસિત ગુજરાત-વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે. કાર્યક્રમમાં મદદનીશ ઉદ્યોગ કમિશ્નર ડી.ડી.સોલંકી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, NBQP-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના અધિકારીઓ, FDCA, GPCB, Index-b અને દિલ્હીથી આવેલા QCIના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીએ મોટી કામગીરી કરી છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર જોલી એન્જોય હોટલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ભારત બેન્ઝ ટ્રકમાંથી ઘઉંના ભૂસાના કોથળા નીચે છુપાવેલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 66.06 લાખ છે. પોલીસે ટ્રક, મોબાઈલ ફોન અને ઘઉંના ભૂસા સહિત કુલ રૂ. 81.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ કારાભાઈ ચાવડા અને જીવાભાઈ મેરામણભાઈ ચાવડા (બંને રહે. અમરદડ ધોરીયાનેસ, પોરબંદર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંજાબના લુધિયાણાથી દારૂ ભરેલો ટ્રક આપનાર અજાણ્યો શખ્સ અને જામનગરના જીગરભાઈ રબારી હજુ ફરાર છે. આ સફળ કામગીરી DIG ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલસીબી PI જે.જે. જાડેજા અને PSI જે.વાય. પઠાણની ટીમે કરી છે. આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
શૈક્ષણિક વર્ષ 2025-26થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 25 મે, 2025થી શરૂ થઈ કરાઈ છે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગની પ્રક્રિયા તથા ઓનલાઈન અરજીના વેરિફિકેશનની પ્રક્રિયા 9 મે, 2025ને શુક્રવારથી શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના પ્રવેશ માટે અરજીની અંતિમ તારીખ 21 મે અને વેરિફિકેશનની છેલ્લી તારીખ 23 મે છે. 1,96,279 વિદ્યાર્થીની કોલેજ-પ્રોગ્રામની ચોઈસ પૂર્ણ20 મેના બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 2,71,628 વિદ્યાર્થીએ GCAS પોર્ટલ મારફતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કુલ 1,96,279 વિદ્યાર્થીએ કોલેજ-પ્રોગ્રામની ચોઈસ કરી દીધી છે. જ્યારે 1,93,217 વિદ્યાર્થીએ તેમની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ GCAS પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ શહેરોમાં રેડિયો ઉપર પણ GCASની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઘરેથી જ 5 સ્ટેપની પ્રોસેસથી સ્નાતકના એડમિશનનું ફોર્મ ભરી શકશે
ધનસુરામાં તિરંગા યાત્રા:પહેલગામ હુમલા બાદ સેનાની કાર્યવાહીને નગરજનોએ બિરદાવી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવવા ધનસુરા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓની જાતિ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. સેનાએ 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા. પાકિસ્તાનમાં ઘૂસીને એરબેઝ સહિત અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા. ધનસુરા નગરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં અરવલ્લી જિલ્લા ભાજપના જગદીશ ભાવસાર જોડાયા હતા. ધનસુરા તાલુકા ભાજપના અગ્રણીઓ અને સરપંચ હેમલત્તા પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન 'ભારત માતા કી જય'ના નારા સાથે દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું. ભારતીય સેનાની ત્રણે પાંખના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે. તેમની આ કામગીરીને બિરદાવવા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
વેરાવળમાં કાલે વીજકાપ:ભવાની ફીડરના સમારકામ માટે સવારે 8થી બપોરે 1:30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે
વેરાવળ શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા આવતીકાલે તા. 21/05/2025ના બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી ભવાની ફીડરના સમારકામને કારણે સવારે 8:00થી બપોરે 1:30 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભવાની હોટલ, જૈન દેરાચર ચોક, ડાભોર રોડ, ગીતા-1,ટાગોર નગર, બિહારી નગર, શિક્ષક કોલોની, જીવન જ્યોત સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી વગેરે વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલે જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકાય છે. કચેરી દ્વારા નાગરિકોને વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવાની સલાહ આપવામાં આવી છે, જેથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય.
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા GPSC અધ્યક્ષ હસમુખ પટેલ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપોનો સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે હસમુખ પટેલ તટસ્થ અને પ્રામાણિક વ્યક્તિ છે. તેમણે કહ્યું કે ચૈતર વસાવા ધારાસભ્ય હોવાથી તેમણે મર્યાદામાં રહીને બોલવું જોઈએ. હસમુખ પટેલની નિમણૂક જે કમિટીમાં થાય છે તેમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો કે GPSC દ્વારા લેવાતા મૌખિક ઇન્ટરવ્યૂમાં હસમુખ પટેલ જાતિવાદી વલણ અપનાવી રહ્યા છે અને SC-ST ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ આરોપને નકારતા મનસુખ વસાવાએ કહ્યું કે આ રાજકીય આક્ષેપબાજી છે અને તમામ આરોપો પાયાવિહોણા છે. સાંસદે વધુમાં જણાવ્યું કે અગાઉ પરીક્ષાના પેપર લીક થતા હતા, પરંતુ વર્તમાન સરકારમાં આવું થતું નથી. મૌખિક પરીક્ષામાં સારા જવાબ આપનાર ઉમેદવારોને જ માર્ક્સ મળે છે. ભવિષ્યના અધિકારીઓને ધારદાર પ્રશ્નો પૂછવા જરૂરી છે અને જો તેઓ યોગ્ય જવાબ ન આપે તો માર્ક્સ ઘટાડવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, હસમુખ પટેલ બાહોસ અધિકારી છે. તેમના પર લાગેલા બધા જ આરોપો પાયાવિહોણા છે. મૌખિકમાં તો જે જેવા જવાબ આપે તેને તેવા માર્ક્સ મળે.
ખંભાળિયા 132 કેવી સબ સ્ટેશનમાં ફીડર પેનલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે 24મી ફેબ્રુઆરી શનિવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપનીના સૂત્રો દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, વીજ કાપનો અમલ ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવશે. આ ઉપરાંત નજીકના હર્ષદપુર, ધરમપુર અને શક્તિનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ વિસ્તારોને આ વીજકાપ લાગુ પડશે.
ગોધરા એલસીબી પોલીસે લીલેસરા ચોકડી પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રાજસ્થાન નંબરના ટાટા ટ્રેલર (RJ-14-GE-4287)ને રોકીને તપાસ કરી હતી. ટ્રેલરમાંથી બ્લેન્ડર પ્રાઇડ પ્રીમીયમ વ્હિસ્કીની 528 બોટલ અને સીગ્નેચર પ્રીમીયર ગ્રેન વ્હિસ્કીની 1,740 બોટલ મળી આવી હતી. દારૂની કુલ કિંમત 14.20 લાખ રૂપિયા છે. પોલીસે 15 લાખની કિંમતનું ટ્રેલર, રોકડા અને મોબાઇલ ફોન સહિત કુલ 29.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના તુલસારામ રેખારામ જાટની ધરપકડ કરી છે. આ કેસમાં કિશોર કાકા, દિનેશ મગનલાલ કલાલ અને જયેશ કેશવલાલ કલાલ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આજે (20 મે)એ ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળચે પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરી આવેલો એક શખ્સ બેંકની અંદર ઘૂસ્યો હતો. અહીં ફરજ બજાવી રહેલા બે કર્મચારીઓને પિસ્તોલના નાળચે એક રૂમમાં પૂરી પોણા પાંચ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. શહેરના સતત ધમધમતા સચિન વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. આરોપીને ઝડપી પાડવા પાંચ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં કેદ થયો સમગ્ર બનાવબેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયો છે. આરોપી સફેદ ટોપી પહેરી બેંકમાં પ્રવેશે છે, બેંકમાં પ્રવેશ્યા બાદ આરોપી સીધો કેશ કાઉન્ટર તરફ જઈ અને ત્યાં પિસ્તોલ બતાવી કર્મચારીઓને ડરાવ્યા પછી કાઉન્ટર માંથી રોકડ રકમ ઉપાડી લે છે. પિસ્તોલ દેખાડતા કર્મચારીઓ પ્રતિકાર ન કરી શક્યાઆ અચાનક બનેલી લૂંટની ઘટનાને કારણે બેંકમાં ઉપસ્થિત લોકોને સાથે બેંકની આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જી દીધો હતો. લૂંટારૂએ બેંકના કર્મચારીઓને બતાવેલી પિસ્તોલથી ઉપસ્થિત લોકો એટલા ભયભીત થઈ ગયા કે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરી શક્યા નહોતા. આરોપી માત્ર થોડી જ મિનિટોમાં રોકડ લૂંટીને નાસી છૂટ્યો હતો. પોલીસે પાંચ ટીમો બનાવી લૂંટારુંને ઝડપવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો અને આરોપીનું પગેરું શોધવા માટે તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારમાં નાકાબંધી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર ટીમે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલમાં સુરત પોલીસે લૂંટારૂના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે . પોલીસે શક્ય તેટલા તમામ માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે અને નજીકના વિસ્તારોમાં જુદી જુદી ટીમો મોકલી દેવામાં આવી છે. સુરત જેવા મોટા શહેરમાં દિનદહાડે બનેલા આ લૂંટના બનાવને લઈ લોકો હવે સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે.
અભિષેક શર્મા અને દિગ્વેશ વચ્ચે થયેલા ઝઘડાને શાંત કરાવી રાજીવ શુક્લાએ કાનમાં એવું તો શું કહ્યું કે બંને ખેલાડી જુના મિત્રો હોય એમ સાથે ચાલવા લાગ્યા?; લખનઉની ટીમ હારી ગઈ પછી ગોએન્કા અને પંત વચ્ચે શું થયું?; ફેક ફોટોઝ વાઇરલ થતા પ્રિતિ ઝિન્ટા લાલઘુમ થઈ. કેવી પોસ્ટ કરી? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'MATCH મસાલા'
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ લીગલ સેલ પ્રમુખ પ્રણવ ઠક્કર અને પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ દ્વારા એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, GPSCની ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને લઈને હાલ વિરોધ ચાલી રહ્યો છે. હાલ જે પદ્ધતિ ચાલી રહી છે તેમાં અમુક વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે અને અમુક વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન કરાવવામાં આવી રહ્યું છે, તેવા ગંભીર આક્ષેપો GPSC પર લાગ્યા છે. આ જે આક્ષેપો આજે લાગી રહ્યા છે તે ફક્ત આમ આદમી પાર્ટી નથી લગાવી રહી પરંતુ વિદ્યાર્થીઓ પણ આક્ષેપો લગાવી રહ્યા છે. મોક ઇન્ટરવ્યૂ માટે ગયેલા અધિકારી પેનલમાં પણ ઉપસ્થિતઅમુક વિદ્યાર્થીઓએ GPSCના ચેરમેન હસમુખ પટેલને ટ્વીટર પર જણાવ્યું હતું કે, તમારા દ્વારા ફુડ એન્ડ ડ્રગનું ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યું તે ખૂબ જ સારાહનીય બાબત છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ઓફિસરના ક્લાસ ટુના તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસમાં માર્ગદર્શન આપવા માટે ગયા હતા તો તેમનું ઇન્ટરવ્યૂ શા માટે રદ કરવામાં નથી આવ્યું. આ સવાલ વિદ્યાર્થીઓ હસમુખ પટેલને પૂછી રહ્યા છે. સુરતની સંસ્થા જીસીએચએ નામની સંસ્થા કોચિંગ આપે છે આ સંસ્થામાં ઇન્ટરવ્યૂ પહેલા આરએ પટેલ નામના અધિકારી મોક ઇન્ટરવ્યૂ લેવા માટે ગયા હતા અને એ જ અધિકારી ઇન્ટરવ્યૂ પેનલમાં પણ ઉપસ્થિત હતા. આ આક્ષેપો પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને તેના તમામ પુરાવાઓ અમારી પાસે છે. વિદ્યાર્થીઓને શા માટે અંધારામાં રાખવામાં આવ્યા હતા?આના પરથી સ્પષ્ટ થાય છે કે આ એક પ્રકારનું કૌભાંડ છે અને તમામ વસ્તુઓ સેટિંગ દ્વારા કરવામાં આવી રહી છે. તો અમારી અને વિદ્યાર્થીઓની માંગણી છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કોઈ તજજ્ઞ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય અને તેના ઇન્ટરવ્યૂ રદ થતા હોય તો આ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ઓફિસરના ઇન્ટરવ્યૂ શા માટે રદ નથી થતા? અમારો સવાલ છે કે વિદ્યાર્થીઓની આ માંગણીને લઈને હસમુખ પટેલ ક્યારે આ બાબત પર તપાસ કરશે? અને ક્યારે તેઓ આ ઇન્ટરવ્યૂ રદ કરશે? આજે હું GPSC પર પણ સવાલ કરું છું. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ત્યારબાદ જ કેમ GPSC જાગે છે અને અત્યાર સુધી વિદ્યાર્થીઓને શા માટે અંધારામાં રાખવામાં આવ્યા હતા? જ્યારે ઇન્ટરવ્યૂ પેનલ ઇન્ટરવ્યૂ ખતમ કરે છે ત્યારબાદ તેમના નામ જાહેર પ્લેટફોર્મ પર કેમ મૂકાતા નથી?. મોટી સંખ્યામાં યુવાનો સાથે અને તેમના ભવિષ્ય સાથે ચેડાજો તમારે ટ્રાન્સપરન્સી જાળવવી હોય તો ઇન્ટરવ્યૂ ખતમ થયા બાદ તેમના નામ જાહેરમાં મૂકી શકાય છે. કારણ કે ગુજરાતની જનતા અને ગુજરાતના યુવાનોને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કોણ છે અને કઈ સંસ્થા સાથે જોડાયેલો છે, પરંતુ GPSC દ્વારા આવું કંઈ કરવામાં આવતું નથી. જો આ ઇન્ટરવ્યૂ રદ થાય તો અમારી માગ છે કે એ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના જ ઇન્ટરવ્યૂ રદ થવા જોઈએ. કારણ કે બીજા વિદ્યાર્થીઓનો આમાં કોઈ વાંક નથી. જો તમે બધાના ઇન્ટરવ્યૂ રદ કરી નાખો તો ફરીથી મોટી સંખ્યામાં યુવાનો સાથે અને તેમના ભવિષ્ય સાથે ચેડા થયા એમ કહેવાય. માટે અમારી માંગણી છે કે આવી સંસ્થા સાથે જોડાયેલા લોકોના ઇન્ટરવ્યૂ રદ થવા જોઈએ. 10 મિનિટમાં કોઇ વિદ્યાર્થીને કઇ રીતે પાસ કે ફેલ કરી શકાયઇન્ટરવ્યૂ પહેલા કોઈ પેનલમાં બેસે તો એની તમામ માહિતી ચેક થવી જોઈએ કે શું તે કોઈ સામાજિક સંસ્થા કે શૈક્ષણિક કોચિંગ ક્લાસ સાથે જોડાયેલ છે કે નહીં. અગાઉ પણ વિદ્યાર્થીઓ GPSCની ઘણી કામગીરીથી પરેશાન હતા, પરંતુ હસમુખ પટેલના આવ્યા બાદ યુવાનો વધુ પરેશાન થયા છે જેનું આજે અમે એક ઉદાહરણ આપીશું. GPSC દ્વારા નર્સિંગનું એક 50 માર્કસનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. તેમાં મેક્સિમમ માર્ક 48 આપવામાં આવ્યા અને ઓછામાં ઓછા માર્ક અઢી માર્ક્સ આપવામાં આવ્યા. જો 10 મિનિટમાં કોઈ વિદ્યાર્થીને આ રીતે માર્ક્સ આપીને પાસ કે ફેલ કરવામાં આવે છે તો લેખિત પરીક્ષાનો કોઈ આધાર અને કોઈ મહત્ત્વ રહેતું નથી. ઓછા માર્ક ધરાવતા ઉમેદવાર પાસ અને વધુ માર્ક ધરાવતા ફેલચૌધરી વિપુલભાઈ નામના વ્યક્તિએ GPSCની લેખિતમાં પરીક્ષા આપી અને 430 માર્ક્સ આવ્યા અને તે વ્યક્તિને ઇન્ટરવ્યૂમાં ફક્ત 20 માર્ક્સ આપીને ફેલ કરવામાં આવ્યા. પછી જ્યારે તે વ્યક્તિ યુપીએસસીમાં પરીક્ષા આપે છે ત્યારે તે વ્યક્તિ ઓલ ઇન્ડિયા લેવલ પર 348મો નંબર હાસિલ કરે છે. તો હવે સાચા કોને માનવા અને ખોટા કોને માનવા? આવી અનેક ઘટનાઓ GPSC પર સવાલ ઉભા કરે છે. બીજી એક બાબત કે GPSC હમણા નવો નિયમ લાવે છે કે એસ.ટી.આઈ પ્રાથમિક પરીક્ષામાં સીસીટીવી કેમેરા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે GPSC દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો કે પેપર લીકને રોકવા માટે સીસીટીવીને બંધ કરવામાં આવે છે. પેપર ચેકરોની ભૂલ હોય તો વિદ્યાર્થીઓ કેમ પૈસા ચુકવે?સીસીટીવી વગર પણ તમે લોકો પેપર લીક કરો છો તમારે ક્યાં સીસીટીવીની જરૂર છે? GPSC હાલ એક નવો નિર્ણય લઈને આવી છે કે પ્રશ્નપત્રમાં ભૂલ હોય અને વિદ્યાર્થી એ ભૂલ સુધારવા માટે અરજી કરે તો એક પ્રશ્નદીઠ સો રૂપિયા ચૂકવવા પડશે. તો અમારો સવાલ છે કે પેપર સેટર, GPSC વાળા અને સરકાર દ્વારા જો ભૂલ કરવામાં આવે છે તો તેના માટે વિદ્યાર્થી શા માટે પૈસા ચૂકવે? આ તમારી ભૂલ છે તો તમે સુધારા પેટે વિદ્યાર્થીઓ પાસેથી ભંડોળ એકઠું શા માટે કરો છો? દરેક ઉમેદવારને સરખી ટ્રીટમેન્ટ નથી મળી રહીઆવી અનેક બાબતો GPSCની કામગીરી પર શંકા ઉપજાવે છે. GPSCની આવી કામગીરીથી વિદ્યાર્થીઓના ભાવી પર મોટું સંકટ આવે છે. ઇન્ટરવ્યૂ સ્કોરિંગમાં જે ડિફરન્સ આવી રહ્યો છે તેના કારણે આર્ટિકલ 14 અને આર્ટીકલ 16નું વાયોલેશન થઈ રહ્યું છે. ઇન્ટરવ્યૂના કારણે ક્લાસ 2ની પરીક્ષામાં જે ઇન્ટરવ્યૂનું વેઇટેજ લેખિત પરીક્ષા કરતાં વધારવામાં આવ્યું છે તે કાયદાકીય રીતે આર્ટિકલ 14નું વાયોલેશન થઈ રહ્યું છે. સાથે સાથે દરેક ઉમેદવારને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. માટે GPSC સમક્ષ અમારી માંગણી છે કે તમારી પદ્ધતિને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે અને અમારી બીજી માંગણી છે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસરના ઇન્ટરવ્યૂમાં જે તે સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે. આ સિવાય જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટેની પેનલ બનાવવામાં આવે ત્યારે પેનલના મેમ્બરની ચકાસણી ચેરમેન દ્વારા કરવામાં આવે. કારણ કે અધ્યક્ષની જવાબદારી છે કે પેનલનો કયો માણસ કઈ સંસ્થા સાથે જોડાયેલો છે તેની ચકાસણી કરવી. તો GPSC આ મુદ્દા પર કડક પગલાં નહીં ભરે તો આમ આદમી પાર્ટી આ મુદ્દા પર મોટી લડત લડશે અને યુવાનોને ન્યાય અપાવશે.
વિશ્વ મધમાખી દિવસ:ધ્રાંગધ્રામાં ખેડૂત શિબિર યોજાયો, મધમાખી ઉછેર અંગે માર્ગદર્શન અપાયું
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા દર વર્ષે 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં બાગાયત વિભાગના જિલ્લા અધિકારીઓએ ખેડૂતોને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જેના થકી ખેડૂતો સારી આવક મેળવી શકે છે. 2017માં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ આ દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે મનાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. 2018થી આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વને ઓળખવાનો છે. મધમાખીઓ માનવ, છોડ, પ્રાણીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે. મધમાખીઓ વિના ખોરાકની અછત સર્જાઈ શકે છે. માનવ પ્રવૃત્તિઓથી મધમાખીઓને થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા અને જૈવવિવિધતામાં તેમના મહત્વને સમજવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિબિરમાં જીલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક મુકેશભાઇ ગાલવાડિયા,મદદનીશ બાગાયત નિયામક વિજયભાઈ કાલરીયા,બાગાયત અધિકારી ગણપતભાઇ ચૌધરી,મયુરગિરિ ગૌસ્વામી,સચિનભાઈ શેઠ,કૌતિકભાઈ ચોટલિયા તેમજ મધ માખી ઉછેર કરતાં ભરતભાઈ ડેડાનીયા (રામરસ હની)એ શિબિરમાં ઉપસ્થિત રહીને પોતે અન્ય ખેડૂતોને મધ માખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી ખેડૂતોને આપી હતી સાથે મધ માખી ઉછેર કરવાથી ખેડૂતોને પાકમાં ઉત્પાદન પણ વધુ મળે છે. ખેડૂતો પોતાની ખેતરમાં મધમાખીની પેટી રાખે તે માટે અપીલ કરી હતી. જયારે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધ માખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભરતભાઈ પહેલા ખેતી કરતા હતા જેમાં ઓછું ઉત્પાદન તેમજ અપૂરતા ભાવ મળતા હતા, ત્યારે તેમને ખેતીની સાથે 50 પેટી મધમાખીથી મધ મેળવવા માટે આગળ આવ્યા હાલ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા છે.વરિયારી,તલ,સરગવો,અજમો જેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યાં છે.આજે યોજાયેલ શિબિરમાં મધ માખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા બીજા ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પેટી રાખે તો તેમને ઉત્પાદનમાં પણ વધારો થાય અને સાથે મધ પણ મેળવીને તે વેચાણ કરીને આવક મેળવી શકે છે.