SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

આજે નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ:સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ; ડાંગના ભેગું ધોધમાં માંડમાંડ પ્રવાસીઓએ જીવ બચાવ્યો

ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રવિવારે પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના પૂરમાં નવસારીમાં એક હજારનું સ્થળાંતરનું કરાયું છે. ડાંગ જિલ્લાના કોષમાળ ગામે આવેલા પ્રખ્યાત ભેગું ધોધમાં એકાએક પાણીના પ્રવાહમાં વધારો થતાં પ્રવાસીઓ માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આજે એટલે કે 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. . છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદછેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સવા છ ઇંચ, વ્યારામાં પોણા છ ઇંચ, ડોલવણમાં સવા 5 ઇંચ, પલસાણામાં પાંચ ઇચ, કપરાડા, સોનગઢ અને સુરતમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 50 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 93 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગતરોજ પણ સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે. બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યા હતા. વાંસદામાં 52 રસ્તા બંધ થયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ બંધ કરાયા છે.. ગઇકાલ (રવિવાર)ના વરસાદના પળેપળનાં અપડેટ્સ માટે અહીં ક્લિક કરો... રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદસામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે. રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતાભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાનકચ્છ : આગામી 10 જુલાઇ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા છે. 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે.ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે.મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 7 Jul 2025 12:05 am

રાધનપુર-મહેસાણા હાઇવે પર ભેંસને બચાવવા જતાં:તેલ ભરેલું ટ્રેલર પલટ્યું, હજારો લિટર તેલ રસ્તા પર ફેલાયું

રાધનપુર-મહેસાણા હાઈવે પર શાક માર્કેટ નજીક એક અસામાન્ય અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અચાનક આવી ગયેલી ભેંસને બચાવવાના પ્રયાસમાં ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ટ્રેલર હાઈવે પરથી નીચે ઉતરીને પલટી ગયું હતું. આ કારણે ટ્રેલરમાં ભરેલું હજારો લિટર તેલ રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયું છે. અકસ્માતમાં ટ્રેલર ભેંસ સાથે અથડાતા ભેંસની સ્થિતિ ગંભીર છે. ઘટના બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રસ્તા પર ફેલાયેલા તેલથી થઈ શકતા જોખમને ટાળવા માટે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 10:25 pm

ભેસાણના શૈક્ષણિક સંકુલમાં શોષણનો શર્મસાર કરતો બનાવ:પ્રિન્સિપાલ અને શિક્ષક પર 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્યનો આક્ષેપ, બંનેને પોલીસ ઉઠાવ્યા, પૂછપરછ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ જગતને શર્મસાર કરનાર ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષક પર 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાએ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર ભેસાણમાં આ મામલે ભારે ચર્ચા છે. ત્યારે પોલીસે બંનેને ઉપાડી લીધા અને પૂછપરછ કરી હતી. દરમિયાન આ મુદ્દે વાલીઓ કંઈ પણ કહેવા ઈનકાર કરી રહ્યા છે. તેવામાં નજરે જોનાર કેટલાક વિદ્યાર્થીઓ વાલીઓના પાણીમાં બેસી જવાથી નાખુશ છે. વાલીઓએ પોલીસને અરજી કરીપ્રિન્સિપાલ તથા સંસ્કૃતના શિક્ષક સામે 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આખી ઘટના સામે આવતાં જ ભેસાણના વાલીઓમાં હડકંપ મચી ગયો હતો. વાલીઓએ પોલીસને અરજી આપી છે, જો કે હાલ હજુ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, પરંતુ વિદ્યાર્થીઓના નિવેદનો તેમજ આક્ષેપોની ગંભીરતા જોઈ સમગ્ર તંત્ર ચોંકી ગયું છે. વાલીઓ બાળકોને ઘરે લઈ ગયાબાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર કિરણબેન રામાણી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે, “આ ઘટના શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી છે. વિદ્યાર્થીઓએ 20થી 25 બાળકો પર આવી કરણી કર્યાની વાત કરી છે. વાલીઓ હાલ ફરિયાદ આપવાની ના કહી રહ્યા છે, તેઓ મંત્રણા કર્યા બાદ નિર્ણય લેશે.” બાળકોના વાલીઓ હાલ પોતાની સંતાનોને ઘરે લઈ ગયા છે. એક માતાએ જણાવ્યું કે, “મારા બાળક સાથે પણ અભદ્ર કૃત્ય થયું છે. અમે ભેસાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પરંતુ સૌ વાલીઓ સાથે મળી નક્કી કરી આગળ કાર્યવાહી કરીશું.” વિદ્યાર્થીએ કહ્યું મોડી રાત્રે કપડાં કઢાવ્યાત્યારે આ મામલે વિદ્યાર્થી સાથે વાત કરતા તેમને પણ કહ્યું હતું કે સાહેબ દ્વારા અમને મોડી રાત્રે બોલાવ્યા બાદ કપડાં કાઢી અમારી સાથે ગંદુ કામ કરવામાં આવતું હતું અને આ સંસ્થાના 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે સાહેબે આવું કર્યું છે. સંસ્થાના વહીવટદારો ઘટનાથી અજાણઆ ઘટના મુજબ સંકુલના પ્રિન્સિપાલ તથા સંસ્કૃતના શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે મોડી રાત્રે અભદ્ર કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. બંનેને હાલ સંકુલમાંથી દૂર કરીને પોલીસે પુછપરછ માટે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સવારે યોજાયેલી વાલી મીટિંગમાં વિદ્યાર્થીઓએ આ બધું વાલીઓને જણાવ્યું હતું, ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પરંતુ સંસ્થાના અન્ય વહીવટદારોને આ બાબતે કોઈપણ માહિતી નહોતી. બાળકોના મેડિકલ રિપોર્ટના આધારે કાર્યવાહીકાયદાકીય રીતે જો આક્ષેપોમાં સત્યતા મળે તો પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાશે અને ગંભીર સજાની જોગવાઈઓ અમલમાં આવશે. બાળકોના મેડિકલ રિપોર્ટ તથા વિગતવાર તપાસ બાદ જ સમગ્ર ઘટના અંગે પોલિસી કાર્યવાહી સ્પષ્ટ થશે. હાલ સમગ્ર ભેસાણ તાલુકામાં આ ઘટનાને લઈ ભારે ચર્ચા છે અને શિક્ષણ જગતને શર્મસાર કરનાર આ કૃત્ય સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાલીઓ તેમજ સ્થાનિકોની માંગ ઉઠી રહી છે. વાલીઓ આગળ નહીં આવે તો બાળસુરક્ષા અધિકારી ફરિયાદી બનશેત્યારે આ મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ મામલે ભેસાણ પોલીસ સ્ટેશનના અધિકારીને સૂચના આપવામાં આવી છે કે હાલ જે ઘટના સામે આવી છે, જેને લઇ વાલીઓને સમજાવી તેમની ફરિયાદ નોંધવામાં આવે અને જો વાલીઓ ફરિયાદ નોંધવા રાજી ન હોય તો બાળ સુરક્ષા અધિકારીને ફરિયાદી બનાવી આ મામલે વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 10:25 pm

તાજીયાના જુલૂસમાં ધાર્મિક એક્તાનું અનોખુ દૃશ્ય, ડ્રોન નજારો:330 તાજીયા સાથે ઐતિહાસિક ભાગળ ચાર રસ્તે ભવ્ય જુલૂસ નીકળ્યું, સી.આર.પાટીલ સહિત અનેક મહાનુભવોએ કાર્યક્રમમાં હાજરી આપી

સુરત શહેરમાં મોહરમ પર્વના અવસરે ભાઈચારા અને ધાર્મિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું.વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો તાજીયાનો જુલૂસ આ વર્ષે પણ ભવ્ય રીતે કાઢવામાં આવ્યો.ખાસ કરીને શહેરના ઐતિહાસિક ભાગળ ચાર રસ્તા પરથી નીકળતા કલાત્મક અને આકર્ષક તાજીયાઓએ સમગ્ર શહેરને ભક્તિમય અને એકતા ભાવનાથી ભીંજવી દીધું. કાર્યક્રમમાં સી.આર.પાટીલ સહિત અનેક મહાનુભવોએ હાજરી આપી તાજીયા કમિટીના સંચાલન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ભાગળ ચાર રસ્તા પર હિન્દુ ધર્મના સંતો દ્વારા તાજીયાનો અભિવાદન કરી કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ અને તાજીયા કમિટીના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી. કુલ 330થી વધુ તાજીયાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરતના મેયર દક્ષેશ માવાણી તેમજ સ્થાનિક ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. તાજીયા કમિટીના આયોજન હેઠળ શ્રેષ્ઠ 10 તાજીયાઓને વિશેષ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો તાજીયા જુલુસમાં જોડાય છેસુરત તાજીયા કમિટીના પ્રમુખ અરશદ કલ્યાણીએ જણાવ્યું કે, વર્ષોથી પરંપરાગત રીતે તાજીયા જુલસ ખૂબ સારી રીતે કાઢવામાં આવે છે. ધાર્મિક લાગણી અને એકતાના વાતાવરણમાં તાજીયા કાઢવામાં આવે છે. ભાગળ ચાર રસ્તા સહિત અલગ-અલગ વિસ્તારોમાં તાજીયા જુલુસ કાઢવામાં આવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર આ તાજીયા જુલુસમાં જોડાય છે અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય છે. જૂલુસ પર ડ્રોનથી નજર રાખવામાં આવી હતીમોહરમ દરમિયાન તાજીયા જુલુસ અલગ-અલગ વિસ્તારોમાં નીકળે છે ત્યારે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન ઉડાવીને સુરક્ષા વ્યવસ્થા ઉપર સતત નજર રાખી હતી. તાજીયા જુલુસના આખા માર્ગ ઉપર સતત ડ્રોન દ્વારા બપોરથી લઈને જુલુસ દરમિયાન ત્રણ અલગ-અલગ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી હતી. તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 9:57 pm

રાજકોટમાં બેનમૂન 200 તાજીયા પડમાં આવ્યા:મહોરમની ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુઓ પણ જોડાયા, તાજીયાના દર્શન કરી સર્વ સમાજના લોકોએ માનતા પૂર્ણ કરી

રાજકોટમાં આજે મહોરમના તહેવારને લઈને ઈમામ હુસૈનના ચાહકો દ્વારા અવનવા 200થી વધુ તાજીયા તૈયાર કરવામાં આવેલાં છે. શહેરના સદર બજાર, નહેરુનગર, કિશાનપરા ચોક, રામનાથપરા સહિતના વિસ્તારોમાં તાજીયા પડમાં આવ્યા હતા. જ્યાં લાઈટિંગ સાથે તાજીયા અનોખી રીતે શણગારવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. આ સાથે જ હિન્દુ સમાજના લોકો પણ જોડાતા કોમી એકતાના દર્શન થયા હતા. આ ઉપરાંત તાજીયાના દર્શન કરી અનેક લોકોએ પોતાની માનતા પૂર્ણ કરી હતી. આ દરમિયાન સબિલ કમિટી દ્વારા સરબત સહિતનું વિતરણ કરાયુ હતું. રાજકોટના સદર તાજીયા કમિટીના પ્રમુખ હબીબ કટારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટના તમામ તાજીયા ગઈકાલે વરસાદ વચ્ચે સરસ રીતે ફર્યા. જેથી નહેરુનગર, બ્રહ્મ સમાજ ચોક, નૂરાનીપરા સહિતના વિસ્તારોમાં તાજીયા ફર્યા હતા. જોકે આજે સવારથી મેઘરાજાની સવારી આવી ગઈ છે. આજે વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ ઈમામ હુસૈનના ચાહકો દ્વારા ઉત્સાહપૂર્વક તાજીયા પડમાં લાવવામાં આવ્યો છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ સહિતનાં તમામ સમાજના લોકો અહીં તાજીયાના દર્શન માટે આવ્યા છે. આ રીતે કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. હાલ જે રીતે ભાઈચારાથી મહોરમનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તે રીતે તમામ તહેવારો અહીં ઉજવવામાં આવે છે. રાજકોટમાં આ વર્ષે 200 થી વધુ તાજીયા તૈયાર કરવામાં આવેલા છે. જેમાં ડોલીઓ અને પંજા સવારી છે. આ દરમિયાન તાજીયા ના સંચાલકોને વિનંતી છે કે હાલ વરસાદ છે ત્યારે તાજી અને ઇલેક્ટ્રીક લાઇટિંગ કરવામાં ન આવે અને ડીજે પણ વગાડવામાં ન આવે. તાજીયાને લઈને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનેરો ઉત્સાહ હોય છે. આ વખતે પણ સદર વિસ્તારમાં બેનમૂન તાજીયા તૈયાર કરવામાં આવેલા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 9:44 pm

કંડલા પોર્ટ પર કેમિકલ જહાજમાં બ્લાસ્ટ:હોંગકોંગના જહાજના ખાલી ટેન્કમાં વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત, કોસ્ટગાર્ડ અને કેપીટી દ્વારા બચાવ કાર્ય જારી

કંડલા દીનદયાળ પોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. મેથેનોલ કેમિકલ ખાલી કરીને જતા હોંગકોંગના જહાજમાં બ્લાસ્ટ થયો છે. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ફુલદા નામનું આ જહાજ 5 જુલાઈએ કંડલાની ઓઈલ જેટી નંબર 2 પર આવ્યું હતું. 6 જુલાઈએ બપોરે એક વાગ્યે કેમિકલ ખાલી કરીને જહાજ રવાના થયું હતું. આઉટર તુણા બોયા તરફ જતા સમયે જહાજના ખાલી ટેન્કમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે જહાજનો પાછળનો ભાગ નુકસાન પામ્યો છે. જહાજ દરિયામાં એક તરફ નમી ગયું છે. મેરિટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર અને કોસ્ટગાર્ડની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે. કંડલા દીનદયાળ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે, ડીપીએના ચેરમેન સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જહાજના ઈંધણને ખાલી કરવા માટે એક બાર્જ મોકલવામાં આવ્યું છે. જહાજના સ્થાનિક એજન્ટ અમલભાઈએ પુષ્ટિ કરી છે કે કોસ્ટગાર્ડ અને પોર્ટ તંત્રની મદદથી ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 9:26 pm

તાપી જિલ્લામાં ભારે વરસાદ:ડોસવાડા ડેમ ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટીમાં વધારો, 5 નદીઓ બે કાંઠે, ઉચ્છલમાં બે ખેડૂત તણાયા, જિલ્લામાં 75 માર્ગો બંધ

તાપી જિલ્લામાં આજે 6 જુલાઇના દિવસે સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ડોલવણ તાલુકામાં 6.10 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાની 5 નદીઓ બે કાંઠે વહી રહી છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તો ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જિલ્લાના 75 માર્ગો બંધ છે. તાપી જિલ્લામાં આજે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં પડેલો વરસાદ 5 નદીઓ બે કાંઠે, જિલ્લામાં 75 માર્ગો બંધઆ ભારે વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે મીંઢોળા, અંબિકા, ઓલણ, વાલ્મિકી અને પુર્ણા છલકાઈ રહી છે, જેના પરિણામે અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લાભરમાં પંચાયત હસ્તકના કુલ 75 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં વ્યારામાં 11, ડોલવણમાં 19, વાલોડમાં 16, સોનગઢમાં 28 અને ઉચ્છલમાં 1 માર્ગનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ઉકાઈ ડેમની જળસપાટી 321.44 ફૂટ પર પહોંચીદક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ઉકાઈ ડેમમાં હાલ 60,345 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આના પરિણામે, ડેમની જળસપાટી 321.44 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલમાં ડેમમાંથી હાઈડ્રો કેનાલ દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમ ઓવરફ્લો તાપી જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે, જેના પગલે હાલમાં ડેમમાંથી 3,800 ક્યુસેક પાણી મીંઢોળા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની સપાટી વધતાં વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ પાણી સોનગઢ, વ્યારા અને વાલોડ થઈને બારડોલી તરફ આગળ વધશે, અને નદી કિનારાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉચ્છલના માણેકપુર પાસે તાપી નદીમાં બે ખેડૂત તણાયાતાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં માણેકપુર ગામ નજીક તાપી નદીમાં બે ખેડૂતો તણાયા. આ બંને ખેડૂતોની ઓળખ રતિલાલભાઈ ગાવિત અને સુરેશભાઈ ગાવિત તરીકે થઈ છે. તેઓ ખેતરે જતા સમયે નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. દુર્ઘટનામાં રતિલાલભાઈ ગાવિતનું મૃત્યુ થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરેશભાઈ ગાવિતની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી બચાવ કાર્યમાં અવરોધ ઊભો થયો છે. નિઝર તાલુકાના ખેરવા ગામમાં દીવાલ પડતાં યુવક દબાયો નિઝર તાલુકાના ખેરવા ગામમાં વરસાદી પાણી ભરાવાને કારણે બે મકાનોની દીવાલો ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં કિશન નામનો યુવક દીવાલ નીચે દબાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવીને યુવકને દીવાલ નીચેથી બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે નિઝર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે મકાનોની દીવાલો નબળી પડી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 9:08 pm

રાજકોટ ક્રાઇમ ન્યूઝ:ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસોને PCBએ દબોચી લીધા

રાજકોટ PCB પોલીસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે. PCBની ટીમનાં પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈ-વે પરથી વિદેશી દારૂના જથ્થા સાથેની ક્રેટા કાર પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે PCBની ટીમે કુવાડવા ગામ, વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ક્રેટા કાર આવતા જ તેને અટકાવી તલાશી લેવામાં આવતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા કુલ 864 બોટલ વિદેશી દારૂ અને ક્રેટા કાર સહિત રૂ. 11,06,624નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ 25 વર્ષીય દિનેશકુમાર મુકનારામ ગોદારા તેમજ 36 વર્ષીય રામજીવન કુંભારામ જાંગુ નામના રાજસ્થાન પંથકનાં બે શખસોને ઝડપી લઈ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ ગુનામાં સામેલ જૂનાગઢના રવિરાજ વાંક અને ભીખનભાઈ આહીરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ભગવતીપરા રોડ પર નજીવી બાબતે છરી વડે હુમલો થયાની ફરિયાદરાજકોટના બી. ડી. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનોજભાઈ હીરાભાઈ જારીયા નામના વ્યક્તિ ઉપર શામજીભાઈ ગોપાલભાઈ સિહોરાએ છરી વડે હુમલો કર્યાનું સામે આવ્યું છે. ગત 5 જુલાઈના સાંજે 6:30 વાગ્યા આસપાસ મનોજભાઈ ભગવતીપરા મેઇન રોડ, ઝમઝમ બેકરી ચોક પાસે હતા. શામજીભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. અને અગાઉ તેમની ઘરે પોલીસ આવી હતી જે મનોજભાઈએ બોલાવી હોવાની શંકાએ પહેલા બીભત્સ ગાળો આપી હતી. બાદમાં ડાબા પડખે તથા ડાબા પગના ગોઠણની નીચેના ભાગે છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે મનોજભાઈને સારવારમાં ખસેડાયા હતા. ભોગ બનનારે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રણછોડનગર વિસ્તારમાંથી બે મહિલાઓ ગુમ થઈરાજકોટનાં રણછોડનગર વિસ્તારમાંથી બે મહિલાઓ ગુમ થઈ હોવાની નોંધ બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે. જેમાં આણંદપરમાં રહેતી નેહલબેન રોહિતભાઈ સાકરીયા નામની 26 વર્ષીય મહિલા તા. 04/07/2025ના રોજ 22:30થી 23:00 કલાક દરમિયાન રણછોડ નગર શેરી નં. 5/15 રાજપુત વાડી પાસે હતી. ત્યાંથી અચાનક ગુમ થઇ છે. જ્યારે અન્ય બનાવમાં રણછોડનગરમાં રહેતી માનસીબેન નારણભાઈ સીરોયા નામની 24 વર્ષીય યુવતી ગત તા. 30મેંનાં રોજ 4:00 વાગ્યે પોતાના ઘરેથી ગુમ થઈ છે. બંને ગુમ થવાની ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જનાના હોસ્પિટલ નજીક જાહેરમાં જુગાર રમતી 3 મહિલા સહિત 5 ઝડપાયારાજકોટની જનાના હોસ્પિટલ નજીક જાહેરમાં જુગાર રમતી 3 મહિલા સહિત 5 ઝડપાયા છે. ગત તારીખ 5 જુલાઈના બપોરે 3 વાગ્યે એ-ડિવિઝન પોલીસનાં પેટ્રોલિંગ દરમિયાન આ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા જનાના હોસ્પિટલ નજીક ઈમ્તિયાઝ શેખ, લતીફભાઈ મોવર, માયાબેન સાગર કસાંગીયા, આશાબેન ચકાભાઈ ઢાઢનપરિયા અને શિલ્પાબેન સોઢા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મળી આવ્યા હતાં. જેને પગલે પોલીસે કુલ રૂ. 12,200ની રોકડ સાથે તમામને ઝડપી પાડ્યા હતા. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખોડાભાઈ ખાંડેખા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:53 pm

સિકલીગર ગેંગના બે રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા:ઘરફોડ ચોરી, વાહન ચોરી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતના 6 ગુનાના ભેદ ઉકેલાયા, પોલીસ પર હુમલો કરીને ગેંગ ફરાર હતી

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગત 15 દિવસ પૂર્વે ચોરી થયેલ ઇકો ગાડીમાં ઘરફોડ ચોરીના ઇરાદે ફરતી સિકલીગર ગેંગના બે રીઢા આરોપીઓને જીવલેણ હથિયારો અને XUV ગાડી સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગે સમા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. આ ઉપરાંત ઘરફોડ ચોરી, વાહન ચોરી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતના 6 ગુનાના ભેદ ઉકેલાયા છે. ગત 21 જૂન, 2025ની રાત્રે, સિકલીગર ગેંગના ત્રણ આરોપીઓએ ચોરી કરેલ ઇકો ગાડીમાં સમા વિસ્તારની શક્તિ પાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીના ઇરાદે પ્રવેશ કર્યો હતો. સવારે 4:30 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચ અને સમા પોલીસ સ્ટેશનની ટીમે આ ગેંગને ઘેરી લીધી હતી. આરોપીઓએ પોલીસ પર તલવારથી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને લોખંડનું વાંદરી પાનું ફેંક્યું હતું અને સરકારી મિલકતો (પોલીસની ગાડીઓ, MGVCLના સિમેન્ટના થાંભલા) તેમજ સોસાયટીમાં પાર્ક કરેલ બ્રેઝા ગાડીને નુકસાન પહોંચાડી નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં એક આરોપી રણજીતસિંગ સિકલીગર ઝડપાયો હતો જ્યારે બે અન્ય આરોપીઓ, ગુરમુખસિંગ કલ્લુસિંગ બાવરી અને સુનીલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી નાસી ગયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સના આધારે નાસી ગયેલા બે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આજવા રોડ પર સિધ્ધેશ્વર હીલ સ્ક્વેર પાસે XUV ગાડીમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કારમાંથી જીવલેણ હથિયારો (તલવાર, ખંજર, લોખંડની પાઇપ), બે મોબાઇલ ફોન, રોકડ રૂ. 1,500 અને ચોરીની બાઈક કબજે કરવામાં આવી છે. આરોપીઓ પાસે હથિયારો રાખવાની પરવાનગી ન હોવાથી બાપોદ પોલીસ સ્ટેશનમાં હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. પકડાયેલા આરોપીના નામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:48 pm

માછલી પકડવાની જાળમાં ફસાયેલા મગરનું રેસ્ક્યૂ:વરસાડાના તળાવમાં 8 ફૂટનો મગર આવી ચડ્યો, દોઢ કલાકની ભારે જહેમત બાદ પકડમાં આવ્યો

વડોદરા નજીક આવેલા વરસાડા ગામના તળાવમાં એક 8 ફૂટનો મગર આવી ચડ્યો હતો અને માછલી પકડવાની જાળમાં મગર ફસાઈ ગયો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને મગરને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો. મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપાયોવાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, વરસાડા ગામના ચિંતનભાઇ પટેલનો અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો કે, અમારા ગામના તળાવમાં માછલી પકડવાની જાળમાં આશરે 8 ફૂટનો મગર ફસાઈ ગયો છે. આ કોલની જાણ થતા તરત જ અમારા સંસ્થાના કાર્યકર હાર્દિક પવાર, ઈશ્વરભાઈ ચાવડા અને અર્જુન પરમારને ત્યાં સ્થળ પર મોકલ્યા હતા. આ મગરમચ્છને દોઢ કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને નેટમાં ફસાયેલ મગરને કાઢીને વડોદરા વન વિભાગના શૈલેષભાઈ અને જીગ્નેશભાઈને વડોદરા ખાતે જમા કરાવ્યો હતો. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણીનદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે, ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:21 pm

બાબરા નજીક CNG કારમાં આગ:શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં 4 મુસાફરનો આબાદ બચાવ, કાર બળીને ખાખ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખભાળા ગામ નજીક એક CNG કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સાંજના સમયે બનેલી આ ઘટનામાં કારમાં સવાર 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. જસદણના ખોડલધામ ગામની વાડીના લોકો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં કાર મોટાભાગે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજુલા ટાવર રોડ પર પણ એક સ્વિફ્ટ કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બીજી ઘટનાએ વિસ્તારમાં ચિંતા ઉભી કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:19 pm

સંતરામપુરમાં મોહરમની ઉજવણી:યા હુસૈનના નારા સાથે તાજિયા જુલુસ નીકળ્યું, ચિબોટા નદીમાં તાજિયા ઠંડા કરાયા

મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. શહેરની જુમ્મા મસ્જિદ, સંત મસ્જિદ અને કાદરી મસ્જિદ સહિતની તમામ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ શહેરમાંથી તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ હુસેની ચોક, ટાવર રોડ અને સંત વિસ્તાર સહિતના વિવિધ માર્ગો પરથી પસાર થયું હતું. યા હુસૈનના નારા સાથે જુલુસ નીકળ્યા હતા. જુલુસ અંતે તમામ તાજિયા ચિબોટા નદી સુધી લઈ જવામાં આવ્યા હતા. પરંપરા મુજબ નદીમાં તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:14 pm

સુરતના સમાચાર:સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો, વિશ્વ સહકાર દિનની ઉજવણી કરાઈ

વરાછા કો-ઓપ. બેંક લિ. તેમજ કોલેજ ઓફ એગ્રીકલ્ચર બેન્કિંગ (CAB), RBI અને ધી સાઉથ ગુજરાત કો-ઓપ. બેંક્સ એસોસિયેશન લિ. (સ્કોબા) ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સહકાર દિન નિમિતે MISSION AVTU - 2025 હેઠળ અર્બન કો-ઓપ. બેંક્સ ના હોદ્દેદારઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાયબર સિક્યુરિટી અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે સાયબર સિક્યુરિટીના તજજ્ઞ અને CABના જનરલ મેનેજર તેમજ વાઈસ પ્રિન્સિપાલ આનંદ ઉપાધ્યાયજી તેમજ તેમના સાથી મિત્ર CABના મેમ્બર ઓફ ફેકલ્ટી સૌગત ચક્રવર્તીજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટી માટે બેંકો સાથે કર્મચારીઓ પણ સુસજજ થાય અને આધુનિક ટેકનોલોજી સાથે બેન્કિંગ સેવા પૂરી પાડી શકે તે માટે તાલીમ યોજાય હતી. સાયબર સિક્યુરિટીના તજજ્ઞ આનંદ ઉપાધ્યાયજી તેમજ સૌગત ચક્રવર્તીજી દ્વારા આશરે 300 જેટલા અર્બન કો-ઓપ. બેંક્સ હોદ્દેદારો તેમજ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. વરાછા બેંકના ચેરમેન ભવાન નવાપરા તાલીમ કાર્યક્રમ નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, બેંકમાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, જેની સાથે સાયબર ફ્રોડના જોખમો પણ વધી રહ્યા છે ત્યારે માત્ર આધુનિક ઉપકરણોથી સાયબર સિક્યુરિટી સુસજ્જ કરવી પૂરતી નથી પરંતુ, બેંકના કર્મચારીઓએ પણ સાયબર સિક્યુરિટી માટે પૂરતું જ્ઞાન અને સતર્કતા દાખવાની જરૂર છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં ચેરમેન કાનજી ભાલાળા દ્વારા પ્રાસંગિક ઉદ્ભોદન આપતા જણાવ્યું હતું કે, આજનો યુગ ડિજિટલ યુગ છે. બેંકોએ આધુનિક ટેકનોલોજી સાથે બેન્કિંગ સેવા પૂરી પાડવી જરૂરી બની છે ત્યારે બેંકો માટે સાયબર સિક્યુરિટી ચિંતાનો વિષય છે. સાયબર ફ્રોડથી બેંકોએ સંરક્ષણ મેળવવું ખૂબ જરૂરી જણાય રહ્યું છે. ભૂતકાળમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઘણી બેંકો સાથે સાયબર ફ્રોડ થવાના કિસ્સા સામે આવ્યા છે, જે બેંકો માટે સાયબર સિક્યુરિટી માટે સુસજ્જ થવા માટેની ચેતવણી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:14 pm

ગૌરીવ્રત નિમિત્તે સોની સમાજનો અનોખો કાર્યક્રમ:ગોધરામાં વ્રત કરનાર દીકરીઓ માટે મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો

ગોધરામાં સોની સમાજે ગૌરીવ્રત નિમિત્તે એક નવતર પહેલ કરી છે. સોનીની વાડી ખાતે સમાજની વ્રત કરનાર દીકરીઓ માટે મહેંદી મૂકવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોની વાડી ખાતે ગીત-સંગીતનો માહોલ જામ્યો હતો. આયોજકોએ સહભાગી દીકરીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરી હતી. સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દીકરીઓએ આ કાર્યક્રમમાં ભરપૂર આનંદ માણ્યો હતો. આ રીતે સોની સમાજે પરંપરાગત ઉજવણીમાં નવીનતા લાવીને યુવા પેઢીને જોડવાનો પ્રયાસ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:13 pm

વેચેલ મકાન પરત મેળવવા ફુવાએ ભત્રીજા સામે રિવોલ્વર તાકી:બે શખસોને સાથે રાખી આજે તને મારી નાખવાનો છે કહી ધમકાવ્યો, ભત્રીજાના બહેન-બનેવી આવી જતા ત્રિપુટી ફરાર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલું મકાન ફૂવા પાસેથી પેટ્રોલ પંપના સંચાલકે ખરીદ કર્યા બાદ તેની પૂરેપૂરી રકમ પણ ચૂકવી દીધી હતી પરંતુ, મકાન પેટ્રોલ પંપ ચલાવતા ભત્રીજા પાસે પરત માગતા તેણે આપવાની ના પાડી હતી. જેના કારણે ફુવા અન્ય બે શખસ સાથે ભત્રીજાના ઘરે ધસી આવ્યા હતા અને ઝઘડો કર્યા બાદ કારમાંથી રિવોલ્વર કાઢી ભત્રીજા સામે તાકી તારે મકાન આપવું છે કે નહીં તેમ કહી આજે તને મારી નાખવાનો છે, તે ધમકી આપી હતી. આ ઉપરાંત અન્ય બે લોકોએ પણ ઝપાઝપી કરી હતી. ભત્રીજાના બહેન-બનેવી આવતા ફુવા સહિતની ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી. ફ્લેટ પાછો મેળવવા ફુવા બે શખસો સાથે આવી ઝઘડવા લાગ્યાવડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા સત્વ સહજ ડુપ્લેક્ષમાં રહેતા પ્રિતમસિંહ ઇન્દ્રવિજયસિંહ રાઉલજી રાજપીપળાથી કેવડીયા તરફ જતા હાઇવે રોડ ઉપર નવ્યા કિસાન સેવા કેન્દ્ર નામનો પેટ્રોલપંપ ચલાવે છે. 5 જુલાઈના રોજ પેટ્રોલ પંપ સંચાલક તથા પત્નિ હેતલબેન ઘરે હાજર હતા. તે દરમ્યાન બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે દરવાજો બહારથી કોઈકે ખખડાવતા હેતલબેન દરવાજો ખોલ્યો હતો ત્યારે દૂરના ફુવા મહેન્દ્રસિંહ ઓરીયા (રહે, ગામ વાવડી, તા,રાજપીપળા, જી.નર્મદા) તથા અન્ય એક શખ્સ દરવાજા આગળ ઉભા હતા ત્યારે મહેન્દ્રસિંહ ઓરીયાએ તેમની પત્નિને છાતીના ભાગે ધક્કો મારી અને રૂમમાં ધસી આવ્યા હતા અને તારે ફ્લેટ પાછો આપવાનો છે કે નહી એવુ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. આ સમયે તેમના ફુવા મહેન્દ્રસિંહ તથા તેની સાથે આવેલા શખ્સે પંપના સંચાલક સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી હેતલબેન વચ્ચે પડીને છોડાવતા બંને જણા રૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને ઘર પાસે પાર્ક કરેલી કારમાં એક શખ્સ બેઠો હતો. તેની પાસેથી મહેન્દ્રસિંહે રીવોલ્વર લઈ આવ્યો હતો અને પેટ્રોલ પંપ સંચાલક સામે તાકી કહ્યું હતું કે, આજે તો તને મારી નાખવાનો છે. વેપારીએ મોબાઈલ ફોનથી વીડિયો ઉતારવા જતા રિવોલ્વર આપનાર શખસે તેમના હાથમાંથી મોબાઇલ ફોન ખેંચી લેતા તેઓએ પરત ઝૂટવી લીધો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીબુમાબુમ થતા પંપ માલિકના બેન હેતલબેન તથા બનેવી હરદિપસિંહ ગોહીલ આવી જતા મહેન્દ્રસિંહ તથા તેઓની સાથે આવેલા બે શખ્સો કારમાં બેસીને ત્યાંથી જતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ઓરીયા પાસેથી તેઓનુ એક મકાન માંજલપુર સહઝાનંદ હાઇરાઇઝમાં આવેલુ મકાન ત્રણેક વર્ષ અગાઉ પેટ્રોલ પંપના સંચાલકે વેચાણ રાખ્યું છે અને મકાનના સોદા પેટેની રકમ પણ તેઓને ભરપાઈ કરી છે અને તેમના નામ ઉપર દસ્તાવેજ પણ તેઓએ કરી આપ્યો છે પરંતુ, તેઓને આ મકાન પરત લઈ લેવું હોવાથી અવાર-નવાર મકાન પરત લેવા માટે દબાણ કરે છે. તેઓને મકાન પરત આપવાની ના પાડતો વેપારી ના ઘરે આવી ઝઘડો કર્યા બાદ રિવોલ્વર તાકી ધમકી આપી હતી. જેની વેપારીએ અટલાદરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:11 pm

ડિજિટલ એરેસ્ટના બે આરોપીની ધરપકડ:કાગડાપીઠમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 3 લાખ RTGS કરાવી લીધા હતાં

બહેરામપુરામાં રહેતા નિવૃત વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવીને ગઠિયાઓએ રૂપિયા ૩ લાખ ખંખેરી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધીને તપાસ કરી હતી. જેમાં RTGSના આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ RTGS દ્વારા ટ્રાન્સફર થયેલા રૂપિયાની લિંકથી આરોપી સુધી પહોચી હતી. આ કેસની તપાસ દિલ્હી સુધી પહોંચી છે. બહેરામપુરામાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને તમારું આધાર કાર્ડ આંતકી પ્રવૃત્તિમાં કર્ણાટક અને તામિલનાડુમાં ઉપયોગમાં લેવાયું છે. મુંબઈ પોલીસ તમારી ધરપકડ કરવાની છે. જો ધરપકડથી બચવા માંગતા હોવ તો રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે કહીને વૃદ્ધ પાસેથી રૂ. 3 લાખ RTGS કરાવી લીધા હતાં. બાદમાં બીજા દિવસે વધુ 7 લાખની માંગણી કરવામાં આવી હતી. આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે જે એકાઉન્ટમાં RTGS મારફતે રૂપિયા મોકલવામાં આવ્યા હતા, તે એકાઉન્ટ ધારકની વિગતો તપાસતા રાણીપ વિસ્તારમાં આવેલ ડગા માર્કેટિંગ કમ્પાઉન્ડ અને દિગ્વિજય ફેક્ટરીની સામે રહેતા શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી હતી. બંને આરોપીની પૂછપરછમાં સુરતના શખ્સનું નામ ખુલવા પામતા એક ટીમ તાત્કાલિક સુરત રવાના કરવામાં આવી છે. ત્યારે ત્રણેય આરોપીની સઘન પૂછપરછ કરતા દિલ્હીના શખ્સ ડિજિટલ અરેસ્ટનું કોલ સેન્ટર ચલાવતો હતો. તથા ઝડપાયેલા શ્રવણ સાગરાનું એકાઉન્ટ થોડાક રૂપિયા આપીને ભાડેથી લીધું હતું. હાલ કાગડાપીઠ પોલીસે દિલ્હી સુધી તપાસ કરવા માટે ટીમો રવાના કરવાની તૈયારી કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:07 pm

સભ્યોની પણ નિમણૂક કરાઇ:વડોદરા ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે એડવોકેટ મેહુલ લાખાણીની નિમણૂક કરાઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિની ઘોષણા કરવામાં આવી હતી. ચાઈલ્ડ વેલફેર કમિટીના વડોદરા જિલ્લાના ચેરમેન તરીકે એડવોકેટ મેહુલ લાખાણીની નિયુક્તિ કરવામાં આવી છે. મેહુલ લાખાણી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે વાઇસ પ્રેસિડન્ટ અને જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. તેઓ વિવિધ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને સિન્ડિકેટ મેમ્બર પણ રહ્યા છે. વકીલાતના વ્યવસાયમાં આવતા પહેલા તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમનો કાયદાનો શિક્ષણનો અને બાળકો સાથેનો અનુભવ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવવામાં ઉપયોગી થશે. આ કમિટીમાં સંઘ પરિવાર, શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યરત અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ડૉ. સંદીપ શાહ, જીગરકુમાર પંડ્યા બ્રિજેશકુમાર પટેલ અને મોનિકા યાજ્ઞિકએ પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:01 pm

હિંમતનગરમાં હાથમતી નદીનો પીકઅપ વિયર ઓવરફ્લો થવાની સંભાવના:ત્રણ ડીપ બ્રિજ પર અવરજવર બંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હિંમતનગરના હાથમતી પીકઅપ વિયરમાં પાણીની આવક વધી છે. આગામી સમયમાં વિયર ઓવરફ્લો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. રવિવારે મોડી સાંજે હાથમતી નદી પરનો પિકઅપ વિયર ઓવરફ્લો થવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે પગલાં લેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર શહેરના ત્રણ મુખ્ય માર્ગો પર આવેલા ડીપ બ્રિજ પર અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. આ માર્ગોમાં ન્યાય મંદિરથી મહેતાપુરા, વણઝારાવાસથી પરબડા અને હિંમતનગર શહેરથી કટવાડ ગામ જતા માર્ગનો સમાવેશ થાય છે. ન્યાયમંદિરથી મહેતાપુરા જવાના કોઝવે પર બંને તરફ બેરીકેડ્સ મૂકવામાં આવ્યા છે અને લોકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 8:00 pm

વેરાવળમાં મહોરમનું તાજીયા જુલૂસ:60થી વધુ તાજીયા સાથે શાંતિપૂર્ણ રીતે જુલૂસ સંપન્ન, જાલેશ્વર સમુદ્ર કિનારે તાજીયા ટાઢા પડાયા

વેરાવળમાં મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ નિમિત્તે ભવ્ય તાજીયા જુલૂસ યોજાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 60થી વધુ તાજીયા આરાધના ટોકીઝ નજીક એકત્રિત થયા હતા. જુલૂસ ટાવર ચોક થઈને ચોપાટી અને જાલેશ્વર સમુદ્ર કિનારે પહોંચ્યું હતું, જ્યાં તમામ તાજીયાને ટાઢા પાડવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજમાં મહોરમ એ હજરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની સ્મૃતિમાં મનાવવામાં આવતો શોકનો તહેવાર છે. હજરત ઇમામ હુસેને 71 સાથીઓ સાથે શહાદત વહોરી હતી. આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઉપવાસ રાખે છે અને દાન-પુણ્યનાં કાર્યો કરે છે. જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. માર્ગ પર ઠેર-ઠેર ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:44 pm

હિંમતનગરમાં વરસાદી માહોલનું નયનરમ્ય દ્રશ્ય:મહેતાપુરાના ઝરણેશ્વર મહાદેવ મંદિર પાસે ઝરણું જીવંત થયું, ભક્તોમાં આનંદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વરસાદી માહોલ વચ્ચે એક આનંદદાયક દૃશ્ય જોવા મળ્યું છે. મહેતાપુરા વિસ્તારમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ઝરણેશ્વર મહાદેવ મંદિર પાસે ઝરણું ફરી જીવંત થયું છે. રવિવારે વરસાદને કારણે મંદિરની બાજુમાં આવેલું ઝરણું વહેતું થયું છે. આ ઝરણું હવે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસની શરૂઆત પહેલાં જ આ પૌરાણિક મંદિર પાસે ઝરણાનો ધોધ વહેતો થતાં ભક્તોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર તેના ધોધ અને ઝરણા માટે જાણીતું છે, જેના કારણે જ તેને ઝરણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. વરસાદી સીઝનમાં આ સ્થળ વધુ રમણીય બની જાય છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:35 pm

CA ફાઈનલમાં બોરસદના ખેડૂત પુત્રનો ઓલ ઈન્ડિયા 9મો રેન્ક:સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ (CA) ફાઈનલ, ઈન્ટિરમીડિએટ અને ફાઉન્ડેશન પરીક્ષા મેં- 2025નું રિઝલ્ટ જાહેર કર્યું છે. CA ફાઈનલમાં બોરસદના ખેડૂત પુત્રએ ઓલ ઈન્ડિયા નવમો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના શુભમ ચોપડાએ ઓલ ઈન્ડિયા 13મો રેન્ક મેળવ્યો છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં સુરતના તન્મય શાહે ચોથો રેન્ક હાંસલ કર્યો છે. ખેડૂત પુત્ર કુંજ પટેલે ઓલ ઈન્ડિયા નવમો રેન્ક મેળવ્યોઆણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં રહેતા ખેડૂત પુત્ર કુંજ પટેલે મે મહિનામાં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આઇસીએઆઇ દ્વારા જાહેર કરાયેલા CA ફાઇનલના પરિણામમાં કુંજ પટેલે 484 માર્ક્સ મેળવ્યા છે. વડોદરા શહેરનું પરિણામ 18.14 ટકા આવ્યું છે અને વડોદરાને નવા 50 CA મળ્યા છે. CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કરનાર કુંજ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પપ્પા ખેડૂત છે અને હું સિંગલ ચાઇલ્ડ છું. મારો સસ્કૂલિંગ બોરસદની સ્કૂલમાં થયું, મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, અમારે CA કરવું છે. મેં વર્ષ 2021માં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી. જેમાં મેં સેલ્ફ સ્ટડી કરી હતી, મેં કોઈ પણ પ્રકારના ક્લાસીસ કર્યા નહોતા, મેં પહેલા પ્રયત્ને જ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ CA ઇન્ટરમિડીયેટની પરીક્ષા પણ પ્રથમ પ્રયત્ને પાસ કરી હતી, ત્યારે પણ હું સીટી ફર્સ્ટ આવ્યો હતો. ત્યારબાદ મેં ત્રણ વર્ષ ઇન્ટરનશીપ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મારું CA ફાઇનલનું રીઝલ્ટ આવ્યું છે. જેમાં મેં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. મેં ખૂબ મહેનત કરી હતી અને મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ કર્યો હતો. તેમણે મને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી. આ ઉપરાંત મારા મિત્રોએ પણ મને ખૂબ મદદ કરી છે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. ઘરમાં કઈ તકલીફ હોય તો પણ મને ખબર પડવા દીધી નથી. તેઓ મને સતત કહેતા હતા કે તું તારા ભણવામાં ધ્યાન આપ. પપ્પાએ મને કહ્યું હતું કે, તારે ખેતી કરવાની નથી, તું જે ભણવુ હોય એ ભણ. મારા પરિવારે મને ભણાવવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો. હું રોજ 13થી 14 કલાક સુધી અભ્યાસ કરતો હતો. મેં 3 ઓક્ટોબર - 2024ના રોજ મેં નક્કી કર્યું હતું કે, મારી ઓલ ઇન્ડિયા સિંગલ ડિઝીટમાં રેન્ક લાવવો છે અને તેના માટે મેં કાગળ પર લખાણ લખીને એક સિંગલ લાઇન છોડી દીધી હતી અને એમાં આજે મેં 9મો રેન્ક લખ્યું છે. હવે બેથી ત્રણ વર્ષ જોબ કરવા માગું છું, જેથી મારા પપ્પાને પણ મદદ કરી શકું. ત્યારબાદ હું મારી ઓફિસ ખોલીને પ્રેક્ટિસ શરૂ કરીશ. 13મો રેન્ક મેળવનાર શુભમને પોતાના પિતાના બિઝનેસમાં આગળ વધવાની ઈચ્છાશુભમ ચોપડા જેણે સમગ્ર દેશમાં સીએ ફાઇનલની પરીક્ષામાં 13મો ક્રમ મેળવ્યો છે તેના પોતાના પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં બિઝનેસમેન છે. તેણે ભાસ્કરને જણાવ્યું કે હું આગળ મારી કારકિર્દી ઈક્વિટી અને ફાઇનાન્સમાં જઈને મારું કેરિયર આગળ વધારવા માગું છું. રોજ હું 10 થી 12 કલાક સુધી અભ્યાસ કરતો હતો. છેલ્લા અઢી વર્ષથી હું તૈયારી કરતો હતો. ઇન્ટરમિડીયેટ પૂર્ણ થતાની સાથે જ સીએ ફાઈનલ માટેની તૈયારી કરી લીધી હતી. મારા પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં છે ત્યારે હું પણ બિઝનેસમાં જ આગળ વધવા માગું છું. તન્મય જૈનની સર્ટિફાઈડ ફાઈનાન્સ એનાલિસ્ટ બનવાની ઈચ્છાતન્મય જૈને જણાવ્યું કે હું આગળ CFA( સર્ટિફાઈડ ફાઈનાન્સ એનાલિસ્ટ) ફાઈનલ કરીને મારી કારકિર્દીને આગળ વધારવા માગુ છું. કોર્પોરેટ સેક્ટરમાં હું આગળ વધવા માંગુ છું. મારા પિતા સુરતમાં ઘણા વર્ષોથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં અમારા પરિવારમાં કુલ 12 જેટલા સીએ છે અને બીજા ચાર સીએની તૈયારી કરી રહ્યા છે. મારા પરિવારના ઘણા લોકો સીએમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી મને એમના તરફથી પણ ઘણી બધી મદદ મળી છે. ધોરણ 10 પાસ કર્યા પછી સતત મારું ધ્યેય નક્કી જ હતું અને તેના પર જ હું આગળ વધતો રહ્યો હતો. ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા હતી તે લગભગ દસ દિવસ જેટલી લંબાઇ ગઈ હતી અને તેના કારણે અમે જે તૈયારી કરી હતી એમાં થોડો અવરોધ આવ્યો હતો અને એના પછી ફરીથી પરીક્ષા આપીને સારા માર્ક્સ મેળવવા એ માનસિક રીતે તૈયાર થવું થોડું મુશ્કેલ હતું. તેમ છતા અમે માનસિક રીતે સ્થિર રહીને પરીક્ષા આપીને પાસ થયા.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:31 pm

અંબિકા નદીમાં ઢોર ફસાયા:બીલીમોરામાં ગૌચર વિસ્તારમાં ચરતા પશુઓને સ્થાનિકોએ બચાવ્યા

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આજે બપોરે એક અણધારી ઘટના બની. શહેરમાંથી પસાર થતી અંબિકા નદીમાં કેટલાક ઢોર ફસાઈ ગયા. આ ઢોર ગૌચરની જગ્યામાં ચરવા ગયા હતા. અંબિકા નદીમાં અચાનક પાણીની સપાટી વધી જતાં ઢોર પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા. સ્થાનિક રહેવાસીઓને આ ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિકોએ સામૂહિક પ્રયાસો કર્યા અને તમામ ઢોરને સુરક્ષિત રીતે નદીના કિનારે લાવવામાં સફળતા મેળવી. આ ઘટનામાં કોઈ પશુને નુકસાન થયું ન હતું.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:26 pm

મોહર્રમ નિમિત્તે પાટણમાં તાજીયા જુલુસ:150થી વધુ તાજીયા, 40 દુલ-દુલ ઘોડા અને 130 પંજા-અલમ સાથે ભવ્ય જુલુસ નીકળ્યું

પાટણ શહેર અને જિલ્લામાં મોહર્રમ નિમિત્તે ભવ્ય તાજીયા જુલુસ નીકળ્યું હતું. આ જુલુસમાં 150થી વધુ તાજીયા શરીફ, 40થી વધુ દુલ-દુલ ઘોડા અને 130 પંજા-અલમ મુબારક સાથે આઠ અખાડા સામેલ હતા. બપોરની નમાજ બાદ શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી તાજીયા નીકળ્યા હતા. ઈકબાલચોક, બોકરવાડો, ઢાંકવાડા, કાલીબજાર સહિત અનેક વિસ્તારોમાંથી આવેલા તાજીયા રતનપોળ ચોકમાં એકત્ર થયા હતા. ગાયકવાડ વખતના હુસેની ટ્રસ્ટના જરીના સરકારી તાજીયાનું જિલ્લાના રાજકીય અને બિનરાજકીય આગેવાનોએ સ્વાગત કર્યું હતું. હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ કોમી એખલાસ સાથે તાજીયાની પૂજનવિધિ કરી હતી. જિલ્લાના સિધ્ધપુર, વાઘણા, વડાવલી, ચાણસ્મા, કાકોશી સહિત અનેક ગામોમાં પણ મોહર્રમ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા. આ વર્ષે જિલ્લામાં અંદાજે 250થી વધુ તાજીયા, ઘોડા અને અલમ મુબારક સાથેનું જુલુસ યોજાયું હતું. મુસ્લિમ સમાજે ઇમામ હુસૈનની યાદમાં માતમ મનાવ્યો હતો. ઢોલ-નગારા, ત્રાંસા અને ડીજેના સૂરો સાથે 'યા હુસૈન'ના નારા લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:25 pm

તાપી-ડાંગમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર:વાલ્મિકી, પૂર્ણા, અંબિકા અને મીંઢોળા નદી બે કાંઠે, લો-લેવલ બ્રિજ ડૂબ્યા

તાપી અને ડાંગ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાई છે. વાલોડ તાલુકામાંથી વહેતી વાલ્મિકી નદીમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ વાલ્મિકી, પૂર્ણા, અંબિકા અને મીંઢોળા બે કાંઠે વહી રહી છે. ડોલવણ વિસ્તારમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પણ પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. નદીઓના પટમાં ન જવા માટે સ્થાનિક રહીશોને અપીલ કરવામાં આવી છે. નદીઓ પર બનાવવામાં આવેલા લો-લેવલ પુલો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે અનેક માર્ગો બંધ થયા છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:23 pm

નવજાત દીકરાને રમાડી બહાર આવતા જ મોત મળ્યું:અમદાવાદમાં મિત્રોએ જ જૂના ઝઘડાની અદાવતમાં યુવકને હોસ્પિટલ બહાર છરી વડે રહેંસી નાખ્યો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં મિત્રોએ જ જુના ઝઘડાની અદાવતમાં મિત્રની હત્યા કરી છે. મૃતક તેના નવજાત દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર આવતાની સાથે જ ત્રણેય આરોપી છરી અને લાકડી લઈને તેની પર તૂટ પડ્યા હતાં. યુવકને હોસ્પિટલની બહાર જ મોતને ઘાટ ઉતારી ત્રણેય આરોપી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હોસ્પિટલની બહાર જતાં જસ રવિ પર જુના મિત્રો તૂટી પડ્યાંવસ્ત્રાલ ગામમાં રહેતા રવિ ખટિકની પત્નીએ ખોખરાની સંજીવીની હોસ્પિટલમાં 1 જુલાઇના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મની ખુશીઓ થોડીક ક્ષણમાં જ માતમમાં બદલાઈ ગઈ હતી. કારણ કે, 2 જુલાઈના રોજ રવિ ખટિક પત્નીને મળવા હોસ્પિટલમાં આવ્યો હતો, દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો, જ્યાં તેના ત્રણ મિત્રો હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત ઇકોસ્પોર્ટ ગાડી લઈને આવ્યા હતાં. રવિ કઈ સમજે તે પહેલા આ ત્રણેયે લાકડીઓ- છરીથી હુમલો કરીને રવિને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયા હતા. મૃતકે આરોપીની દીકરીના જન્મ પર કટાક્ષ કર્યો હતોપોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક રવિ ખટિક અને આરોપીઓ હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત મિત્રો હતા. જેઓ ગાડીની લે-વેચનો ધંધો કરતા હતા. મૃતક અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. તેઓ પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. એક વર્ષ પહેલાં આરોપી નિખિલ બીસ્ટના ઘરે દીકરીનો જન્મ થયો તો રવીએ આ દીકરી નિખિલની નહિ હોવાનો કટાક્ષ કર્યો હતો. ત્યારબાદથી તેમની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી અને તેઓ વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. આરોપીઓનો ગુનાહિક ઈતિહાસઆ દરમ્યાન રવિના ઘરે દીકરાનો જન્મ થયો તો આરોપી નિખિલ બદલો લેવા મિત્રો સાથે રવિની હત્યા કરવા આવ્યો હતો અને જાહેરમાં છરીના ઘા ઝીંકીને રવિની કરપીણ હત્યા કરી હતી. ઝડપાયેલા ત્રણ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જેમાં હાર્દિકની સામે આર્મ્સ એક્ટ, રેપ અને પ્રોહીબિશ, નિખિલ સામે પણ પ્રોહીબિન કે જે લીસ્ટેડ બુટલેગર પણ છે. સાગરની સામે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:22 pm

તાપી જિલ્લામાં મીંઢોળા નદી બે કાંઠે વહી:વ્યારા શહેરમાં મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે પાણીમાં ડૂબ્યો

તાપી જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે મીંઢોળા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નદીમાં પાણીની આવક વધતા બંને કાંઠે પાણી ફરી વળ્યા છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દૃશ્યોમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વ્યારા શહેરમાં આવેલા મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીના જળસ્તરમાં વધારો થતાં આસપાસના વિસ્તારોમાં સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને બિનજરૂરી રીતે નદી કિનારે ન જવા અને સલામતીના તમામ નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:14 pm

અંગત અદાવત બની હત્યાનું કારણ:સરસપુરના યુવકનું અપહરણ કરીને રિક્ષામાં જ કરી હત્યા, ત્રણ આરોપી ઝડપાયા

અમદાવાદ શહેરના સરસપુરમાં રહેતા યુવકનું ત્રણ દિવસ પહેલા રિક્ષામાં અપહરણ કરીને તેને માર મારીને હત્યા કરીને તેની લાશને વોરાના રોજા પાસે ફેંકી દીધી હતી. હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી છે. આરોપીઓએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રિક્ષામાં યુવકનું અપહરણ કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંક્યા​​​​​​​સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે આવેલી વસાહતમાં રહેતા 24 વર્ષના ઉમંગ દંતાણીનું ગત 3જી તારીખે રાતના સમયે કેટલાંક શખસોએ રીક્ષામાં તેનું અપહરણ કરીને તીક્ષણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડીને તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને વોરાના રોજા પાસે ફેંકી દીધો હતો. આ અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુમિત પટણી, અમિત પટણી અને અન્ય એક સગીરને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ રોહન પટણી, આકાશ પટણી અને પુનમ પટણીની શોધખોળ શરૃ કરી છે. પોલીસે તપાસ હાથ ધરીઆરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુમિત પટણીને મૃતક સાથે અંગત અદાવત હતી. ગત 3જી તારીખે તે રસ્તા પર મળ્યો ત્યારે તેનું અપહરણ કરીને માર મારીને હત્યા કરી હતી. આ અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:07 pm

કટર ગેંગના મહિલા સહિત બે આરોપી ઝડપાયા:રિક્ષામાં મુસાફર બનીને વૃદ્ધાઓના દાગીના કાપતી ગેંગ પકડાઈ, 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે કટર ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ રિક્ષામાં મુસાફર બનીને વૃદ્ધ મહિલાઓના સોનાના દાગીના કટર વડે કાપીને ચોરી કરતી હતી. 18 જૂન 2025ના રોજ સવારે 10:30થી 10:45 દરમિયાન અજાણ્યા વ્યક્તિઓએ એક વૃદ્ધ મહિલાની 3 તોલાની બે સોનાની બંગડીઓ ચોરી કરી હતી. PI આર.એમ.વસાવાની સૂચનાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમી મુજબ લીલા કલરની સાડી પહેરેલી મહિલાને હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી ચોરીની બંગડીઓ મળી આવી હતી. પૂછપરછમાં બે અન્ય સાગરિતો અંકલેશ્વરમાં ચેન વેચવા આવ્યા હોવાની માહિતી મળી હતી. પકડાયેલા આરોપીઓમાં ભારતી વડોદરીયા, ડાહ્યા ઉર્ફે વિજય વડોદરીયા અને વિમલેશ ઉર્ફે ગોલુ ઠાકોરનો સમાવેશ થાય છે. આ ગેંગે ભરૂચ, અંકલેશ્વર, સુરત અને અમદાવાદમાં અનેક ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. કમલેશ વસાવા અને રમેશ ઉર્ફે ભોટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની બંગડીના 4 ટુકડા (રૂ.2,47,400), એક સોનાની ચેન (રૂ.70,000) અને બે મોબાઇલ (રૂ.10,000) મળી કુલ રૂ.3,27,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી, પોલીસ ચેકિંગનું બહાનું બતાવી રિક્ષામાંથી ઉતારી દેતા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:04 pm

ગોધરા સબ-જેલ અને નારી કેન્દ્રમાં સત્સંગ:150થી વધુ કેદીઓને સત્સંગનો લાભ, સાચા માનવી બનવાનો સંદેશ અપાયો

સાવન કિરપાલ રૂહાની મિશન ગોધરા સેન્ટર દ્વારા સંત રાજિન્દર સિંહજી મહારાજના આશીર્વાદથી ગોધરા સબ-જેલ અને નારી કેન્દ્રમાં સત્સંગનું આયોજન થયું. આ કાર્યક્રમ 2001થી ગોધરા સબ-જેલમાં નિયમિત રીતે યોજાય છે. નારી કેન્દ્રમાં 2015થી સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કાર્યક્રમમાં 150થી વધુ કેદીઓએ સત્સંગમાં ભાગ લીધો. કેદીઓને ગુના ન કરવા અને સાચા માનવી બનવાનો સંદેશ આપવામાં આવ્યો. તેમને નિયમિત ધ્યાન અભ્યાસ કરવાની પણ પ્રેરણા આપવામાં આવી. સેવાદારોએ સંત રાજિન્દર સિંહજી મહારાજનો આભાર વ્યક્ત કર્યો. તેમણે સેવા, સત્સંગ અને સિમરન સાથે જોડાયેલા રહેવાની પ્રાર્થના કરી. સંત રાજિન્દર સિંહજી મહારાજનો સત્સંગ સોમવારથી શનિવાર સવારે 8:20થી 8:40 દરમિયાન આસ્થા ચેનલ પર પ્રસારિત થાય છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:02 pm

અમદાવાદના સમાચાર:ગુજરાતમાં ME/MTech સહિતના કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ, 4124 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષા બાદ ME/MTech M. Pharm. અને M. Plan અભ્યાસક્રમોમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ માટે રાજ્યની પ્રવેશ સમિતિ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંકલનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ પરીક્ષા(PGCET) રાજ્યના ચાર સેન્ટર ખાતે (રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ) 5-7-2025 અને તા. 6-7-2025ના રોજ ઑફલાઇન મોડમાં યોજવામાં આવી હતી. પ્રવેશ સમિતિ ખાતે PGCET-2025 પરીક્ષા અંતર્ગત જુદા-જુદા 16 વિષયોના પેપર્સ માટે કુલ 4680 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 4124 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા. પરીક્ષા બાદ સમિતિ દ્વારા PGCET-2025 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પ્રવેશ સમિતિની વેબસાઇટ https://acpc.gujarat.gov.in/me-mtech-courses પ્રસિદ્ધ કરવામાં આવશે. આ આન્સર કી સંદર્ભિત વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત હોય તો તે અંગેની નોટિસ પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર તા. 7-7-2025ના રોજ મૂકવામાં આવશે. જે અન્વયે વિદ્યાર્થીઓ એ નિયત સમયમર્યાદામાં કાર્યવાહી કરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 7:01 pm

મોહરમ પર્વ દરમિયાન બેચરીમાં કરુણ ઘટના:તાજીયાના ઝુલુસમાં વીજવાયર ઊંચો કરતા બે યુવકોના કરંટ લાગવાથી મોત

ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં મોહરમ પર્વ દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. તાજીયાના ઝુલુસ વખતે બે યુવકોના વીજ કરંટ લાગવાથી મોત થયા છે. શનિવારે રાત્રે સાડા બારેક વાગ્યે તાજીયાનું ઝુલુસ ગામમાં નીકળ્યું હતું. ઝુલુસને નડતા વીજવાયરને ઊંચો કરવા માટે અજુરુદ્દીન બાબુખાન પઠાણ (37) અને મોસીનમિયાં અયુબમિયાં બેલીમ (35) લાકડાનો બંબુ લઈને પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બંબુમાં વીજ કરંટ ઉતરતાં બંને યુવકોને જોરદાર ઝટકો લાગ્યો હતો. બંને યુવકો નીચે પટકાયા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉમરેઠ પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતક બંને યુવકો ખેત મજૂરી કરતા હતા અને પરિણીત હતા. અજુરુદ્દીન પઠાણને એક દીકરો અને એક દીકરી છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં અને બંને પરિવારોમાં શોકનું વાતાવરણ છવાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:57 pm

ઝીંઝુવાડાના યુવાનનું પેરિસમાં સન્માન:246 વિદ્યાર્થીઓમાં પુષ્પરાજસિંહ ઝાલાએ મેળવ્યો ત્રીજો ક્રમ, મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામના પુષ્પરાજસિંહ ઝાલાએ ફ્રાન્સની પ્રતિષ્ઠિત સ્કેમા ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલોપમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. શનિવારે રાત્રે યુરોપના સૌથી મોટા લા-સ્વાઈન-મ્યુઝિકલ એડિટોરિયમમાં યોજાયેલા સમારંભમાં તેમનું સન્માન કરવામાં આવ્યું. વિશ્વભરના 246 વિદ્યાર્થીઓમાંથી પુષ્પરાજસિંહે ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ કાર્યક્રમમાં ફ્રાન્સની અનેક નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સ્કેમા ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ ફ્રાન્સની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. આ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા અત્યંત કઠિન છે. અહીં વિશ્વભરના નિષ્ણાત પ્રોફેસરો અધ્યાપન કરાવે છે. પુષ્પરાજસિંહના પિતા સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે તેમનો સમગ્ર પરિવાર આ સમારોહમાં હાજરી આપવા પેરિસ પહોંચ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે. આ કોલેજના વિદ્યાર્થીઓને બહુરાષ્ટ્રીય કંપનીઓ આકર્ષક પેકેજ સાથે નોકરી આપે છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:56 pm

મોહરમના તહેવારની ઉજવણી:અમદાવાદમાં વરસાદની વચ્ચે તાજીયાના જુલુસ નીકળ્યા, મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા

ઇસ્લામ ધર્મમાં પગંબર હજરત મહંમદ મુસ્તફા સલલા હો અલહવાલે હૈ ના નવાસા હજરત ઈમામ હુસૈન અલી સલામ અને તેમના પરિવારજનો અને તેમના સભ્યોની શહાદતની યાદમાં તાજીયાના જુલુસ નીકળે છે. અમદાવાદ ખાતે આ વર્ષે 91 તાજીયા, 21 અખાડા અને 73 ઢોલ તાસા અને છૈયમ પાર્ટીઓ, 20 સ્પીકર, 10 માતમની દસ્તા તથા 14 અલગ નિશાની પાર્ટીઓ મહેંદી સવારીઓ તથા 24 તેમજ 10 મીની ટ્રક તથા ઉંટગાળા સાથે તાજીયાનું જુલુસ શહેરના ગોમતીપુર વિસ્તારથી નીકળ્યું હતું. કાલુપુર, રીલીફ રોડ થઈને ખાનપુર દરવાજા તરફના રૂટ પર તાજીયાના જુલુસમાં મોટી સંખ્યામાં ઇસ્લામ ધર્મના લોકો જોડાયા છે. વરસાદની વચ્ચે આજે બપોરે ચાર વાગ્યા બાદ નંબરની પરમીટ વાળા મોટા 91 તાજીયા પોતપોતાના વિસ્તારમાંથી નીકળી જુલુસના સ્વરૂપમાં આગળ વધતા મુખ્ય રોડ પર આવ્યા હતા. એક મોટા જુલુસના સ્વરૂપમાં અલગ-અલગ વિસ્તારોમાંથી થઈને એક પછી એક નંબર ક્રમ મુજબ થઈ અને મુખ્ય જુલુસમાં જોડાયા હતા. લકી હોટલ પાસે વીજળી ઘર થઈ ખાનપુર દરવાજા પાસે થઈ ત્યાં બનાવેલા કુંડમાં ઠંડા કરવામાં આવશે. સારંગપુર બ્રિજ નવો બનતો હોવાથી મારા વિસ્તારમાંથી આવતા તમામ તાજ્યાઓ આ વર્ષે ચાર ટોળા કબ્રસ્તાન થઈ ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ ઉપરથી પસાર થઈ કાળુપુર દરવાજાની બાજુમાં રેવડી બજાર થઈ રીલીફ રોડ કાલુપુર પોલીસ ચોકી ત્યાંથી ધનાસુથારની પોળ ત્યાંથી વીજળી થઈ ખાનપુર દરવાજા સુધી ગયા છે. તાજીયા ત્યાં દફન નહીં થાય જેમની પાસે પોતપોતાની જગ્યાએ તાજીયા રાખવાની વ્યવસ્થા છે તે તમામ લોકો પોતાના તાજીયા આ જ રોડ પરત લઈને જશે. આ આખા જુલુસને સફળ બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અધિકારીઓ તેમજ તાજીયા કમિટીના હોદ્દેદારો તાજિયાદારો અખાડા એસોસિએશન તથા અનેક સામાજિક આગેવાનોએ સાથ-સહકાર આપ્યો.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:55 pm

ધોળાવીરામાં ધોધમાર 6 ઇંચ વરસાદ:ખડીર પંથકમાં નદી-નાળા છલકાયા, ખેતરો જળબંબાકાર, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

કચ્છના ખડીર બેટમાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વિશ્વ ધરોહર ધોળાવીરા ગામમાં સવારના 10 વાગ્યાથી સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. રણ પ્રદેશથી ઘેરાયેલા ખડીર અને આસપાસના ગામોમાં એકધારી મેઘમહેરથી નદી-નાળા છલકાઈ ઊઠ્યા છે. મોટાભાગના માર્ગો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. રવિવારની રજાએ હડપ્પીય સાઇટની મુલાકાતે આવેલા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધોળાવીરા ગામના સરપંચ જીલ્લુભા સોઢાના જણાવ્યા મુજબ, વિસ્તારના મોટાભાગના રિસોર્ટ પરિસરમાં પાણી ભરાયા છે. ખાવડા તરફના રોડ ટુ હેવન માર્ગે અને રાપર તરફના માર્ગે પણ પાણી ફરી વળ્યા છે. આ વરસાદથી એરંડા, બાજરો અને મગ જેવા પાકોના વાવેતરમાં વધારો થવાની આશા છે. આ વિસ્તારમાં નર્મદા કેનાલ ન હોવાથી ખેતી વરસાદ આધારિત છે. અહીં ઉગાડવામાં આવતા પાકોના ભાવ અન્ય વિસ્તારો કરતાં ઊંચા મળે છે. નદી-નાળામાં આવેલા નવા પાણી શિયાળુ જીરાના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રાપર પંથકમાં આજે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. નગરમાં સામાન્ય વરસાદ પડવાથી માર્ગો ઉપર હળવા પાણી વહ્યા હતા. આ સિવાય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન રાપરના છેવાડાના કાનમેર ગામને જોડતા મુખ્ય માર્ગે વરસાદી પાણી ભરાયેલા રહેતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી ઉભી થઈ છે. પાણી નિકાલનો ઉપાય લાવવા સરપંચ પતિએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:54 pm

દાદરા-દમણ ભાજપમાં નવી નિમણૂક:મહેશ અગરિયા પ્રદેશ પ્રમુખ બન્યા, સેન્સ પ્રક્રિયા બાદ નિર્ણય

દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે મહેશ અગરિયાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અગાઉના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલની ટર્મ પૂરી થયા બાદ કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ સંગઠને કાર્યકરો અને હોદ્દેદારો પાસેથી ઇચ્છુક ઉમેદવારોના નામ માંગ્યા હતા. ત્યારબાદ દાદરા નગર હવેલી અને દમણના ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકરો વચ્ચે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા બાદ ત્રણ મુખ્ય નામોની યાદી તૈયાર કરવામાં આવી. આ યાદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી. બોર્ડે મહેશ અગરિયાના નામ પર સહમતિ આપી. દાદરા નગર હવેલીના ભાજપ કાર્યાલય ખાતે આ નિમણૂકની અધિકૃત જાહેરાત કરવામાં આવી. કાર્યકરો અને સમર્થકોએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાનું ઉમંગભેર સ્વાગત કર્યું.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:53 pm

આપઘાતના બે બનાવ:વરાછામાં ધો. 10ની વિદ્યાર્થીનીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત, ઉત્રાણમાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે જેટલા બનાવ સામે આવ્યા છે. વરાછા વિસ્તારમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હતો. જ્યારે ઉત્રાણ વિસ્તારમાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું હતું. સગીરાના આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધઆપઘાતના પહેલા બનાવમાં મૂળ મહારાષ્ટ્ર અને પુણાગામ વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ એસએમસી ટેનામેન્ટમાં 16 વર્ષીય પૂજા કિરણભાઈ સૂર્યવંશી પરિવાર સાથે રહેતી હતી. પૂજા મોટા પપ્પા, માતા અને ભાઈ સાથે રહેતી હતી. પૂજા સાગર ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરી હતી. પૂજાએ સાંજે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો આપઘાત કરી લીધો હતો. પૂજાએ કયા કારણોસર આપઘાત કર્યો? તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. ઘરે એસીડ પી જતા સારવાર દરમિયાન મોતઆપઘાતના બીજા બનાવમાં, મૂળ પાટણ અને ઉત્રાણ વિસ્તારમાં આવેલ સાહિલ ક્રિષ્ના ડાયમંડ ઉમરા ગામ ખાતે 17 વર્ષોય લીલાબેન મુકેશભાઈ ઠાકોર પરિવાર સાથે રહે છે. પતિ ડાયમંડમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લીલાબેને ચાર જુલાઈના રોજ બપોરે ઘરે એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન લીલાબેનનું મોત નિપજ્યું હતું. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, લીલાબેનનો કોઈક ને કોઈક બાબતે તેમના પતિ સાથે ઝઘડો થતા કંટાળીને આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:47 pm

મોહરમ પર્વની ગોધરામાં ભવ્ય ઉજવણી:કલાત્મક તાજીયાનું જુલુસ નીકળ્યું, રામસાગર તળાવમાં તાજીયા ઠંડા કરાશે

ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં મુસ્લિમ સમાજે મોહરમ પર્વની ઉજવણી કરી. શહેરમાં મોડી સાંજે કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યું. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો અને યા હુસેનના નારા લગાવ્યા. બાદશાહ બાવાની ટેકરી પર 'નો જવાન હુસેની કમિટી' અને એકતા હુસેની કમિટી છકડાવાડાએ તાજીયાને કલાત્મક રીતે શણગાર્યા. જુલુસ બાદ તાજીયાને રામસાગર તળાવમાં ઠંડા કરવામાં આવશે. પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કાલોલ નગરમાં પણ કસબા વિસ્તાર, કાનાવાડા વિસ્તાર, મોગલવાડા, આશિયાના સોસાયટી, કાશીમાબાદ સોસાયટી અને પુરુષોત્તમ નગર સોસાયટીના યુવક મંડળે કલાત્મક તાજીયા બનાવ્યા. આ તાજીયાઓને કસ્બા વિસ્તારની મસ્જિદ પાસે દર્શન માટે મૂકવામાં આવ્યા. ગોધરા શહેરના છકડાવાસ, ખાડી ફળિયા અને સૈયદવાડ વિસ્તારોમાં મોહરમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. મોહરમ પર્વ ઈમામ હુસેનની યાદમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તાજીયાઓને નદી-તળાવમાં ઠંડા કરવાની પરંપરા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:45 pm

નવસારીમાં નવા બનેલા છાપરા રોડ પર ટ્રક ફસાયો:પ્રથમ વરસાદમાં જ રોડ બેસી ગયો, ટાઇલ્સ ભરેલો ટ્રક ખૂંપ્યો

નવસારીમાં તાજેતરમાં જ નવનિર્મિત છાપરા રોડ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. પ્રથમ વરસાદમાં જ રોડ બેસી જવાના કારણે ટાઇલ્સથી ભરેલો એક ટ્રક રોડમાં ફસાઈ ગયો છે. આ ઘટના બાદ નવા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રોડ પ્રથમ વરસાદમાં જ બેસી જવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે હજુ આખું ચોમાસું બાકી છે. આવી સ્થિતિમાં આગામી વરસાદી સિઝનમાં રોડ પર વધુ ખાડા પડવાની સંભાવના વધી ગઈ છે. આ ઘટના રોડના નિર્માણમાં થયેલી બેદરકારી તરફ અંગુલિનિર્દેશ કરે છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:37 pm

નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 21 ફૂટે પહોંચી:ભયજનક સપાટી 23 ફૂટ, બે કલાકમાં 3 ફૂટનો વધારો, તંત્ર એલર્ટ

નવસારી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે પૂર્ણા નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના વિરાવળ વિસ્તાર નજીક પૂર્ણા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી ગઈ છે. નદીની ભયજનક સપાટી 23 ફૂટ નિર્ધારિત છે. ચિંતાજનક બાબત એ છે કે માત્ર બે કલાકના ગાળામાં નદીની સપાટીમાં 3 ફૂટનો વધારો નોંધાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.જિલ્લા વહીવટી તંત્રે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. લોક સલામતી માટે વહીવટી તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.કટોકટીની પરિસ્થિતિમાં સંપર્ક માટે જિલ્લા તંત્રે ઇમરજન્સી નંબર 02637-233002 અને 02637-259401 તેમજ ટોલ ફ્રી નંબર 1077 જાહેર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:36 pm

જૈન આચાર્ય મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ:રાજ્યપાલ દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના પ્રેક્ષા વિશ્વભારતીમાં સમારોહ યોજાયો

ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશનો સમારોહ યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે સાચો ધર્મ એ છે જે પોતાને અને અન્યને સુખી કરે છે. આચાર્ય મહાશ્રમણજીએ દેશભરમાં 60 હજાર કિલોમીટરથી વધુ પદયાત્રા કરી છે. તેઓ યુવાનોને વ્યસનમુક્ત કરવાનું કાર્ય કરે છે અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે.આચાર્યશ્રીએ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંતો - અહિંસા, સંયમ અને તપની વિશેષ સમજ આપી. તેમણે જણાવ્યું કે પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સમભાવ એ જ સાચો ધર્મ છે. ચતુર્માસ દરમિયાન સાધુ-સંતો એક સ્થળે રહીને લોકો સાથે શાસ્ત્રો અને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરે છે. આગામી ચાર માસ દરમિયાન આચાર્યશ્રી અહીં રહીને માર્ગદર્શન આપશે.કાર્યક્રમમાં મુની મહાવીર કુમાર, સાધ્વી પ્રમુખા, વિવિધ મહાનુભાવો અને મોટી સંખ્યામાં જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:35 pm

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીએ:ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાયા, મંદિરની મૂર્તિઓ ખસેડાઈ

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું જળસ્તર વધીને 23 ફૂટ સુધી પહોંચ્યું છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ભેંસત ખાડા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ગોટલી માતા અને ભક્તિ માતાની પ્રતિમાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. મંદિરમાં પાણી ભરાવાની શક્યતાને કારણે સ્થાનિક લોકોએ આ નિર્ણય લીધો હતો. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ બિકટ બની શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:34 pm

વલસાડ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ:નવા પ્રમુખની નિમણૂક બાદ મહામંત્રીનું રાજીનામું, AICC સભ્યો પર આક્ષેપ

વલસાડ જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે કિશન પટેલની નિમણૂક બાદ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અજિત ગરાસિયાએ આ નિમણૂકના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. અજિત ગરાસિયાએ એઆઈસીસીના કેટલાક સભ્યો પર ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે ઘણા સમયથી એઆઈસીસી સમક્ષ રજૂઆતો કરવા છતાં કિશન પટેલની નિમણૂક રદ કરવામાં આવી નથી. મહામંત્રીના મત મુજબ આ નિમણૂક કોંગ્રેસના હિતમાં નથી અને કાર્યકરોની અવગણના થઈ રહી છે. સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો પણ આ નિમણૂક સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લા કોંગ્રેસમાં હાલ તંગદિલી ભર્યું વાતાવરણ છે. કાર્યકર્તાઓ અને આગેવાનોના વિરોધ છતાં કિશનભાઈ પટેલને જિલ્લા કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવતા સંગઠનમાં ભાગલા પડવાની શક્યતા ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:32 pm

ડાંગમાં ભારે વરસાદથી દેવધા ડેમ ઓવરફ્લો:ગણદેવી તાલુકાના 16 ગામોને એલર્ટ, નદી કિનારે જવા પર પ્રતિબંધ

ડાંગ જિલ્લાના સાપુતારા અને વઘઈ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે દેવધા ડેમ ઓવરફ્લો થયો છે. નદીમાં પાણીની ભરપૂર આવક થતાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 16થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રે લોકોની સલામતી માટે નદીકિનારે ન જવા માટે વિશેષ અપીલ કરી છે. આ સાથે સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા અને સલામત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:31 pm

નર્મદા કિનારે ઈકો કાર ઉતરી ગઈ:ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ, ચાલક સહિત કોઈને ઈજા નહીં

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે એક ઈકો કાર નર્મદા નદીના કિનારે ઉતરી જવાની ઘટના સામે આવી છે. GJ 06 PC 3184 નંબરની ઈકો કારના ચાલક જંબુસર તાલુકાના નાળ ગામના રહેવાસી છે. તેઓ તવરા ગામે સંબંધીને મળવા આવ્યા હતા. સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે મુખ્ય રસ્તા પર કાર ચાલી રહી હતી. આ દરમિયાન કારનું સ્ટેરીંગ અચાનક બેકાબૂ થતાં વાહન નિયંત્રણ બહાર ગયું. કાર સીધી નર્મદા કિનારે ઉતરી ગઈ. ઘટનાની જાણ થતાં તવરા ગામના સરપંચ જાગૃતિ પરમાર તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા. તેમની સાથે તેમના પતિ પૃથ્વીરાજસિંહ પરમાર અને વોર્ડ સભ્ય અલ્કેશભાઈ પણ હતા. ગામલોકોની મદદથી ક્રેન બોલાવી કારને નદી કિનારેથી બહાર કાઢવામાં આવી. આ અકસ્માતમાં કોઈને ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:30 pm

વાપીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનું ભૂમિપૂજન:48.48 કરોડના ખર્ચે બનશે આધુનિક સુવિધાયુક્ત કેન્દ્ર, NDRF-SDRF આપશે તાલીમ

વાપી જીઆઇડીસીના પ્રથમ ફેઝમાં રવિવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકા કમિશ્નર યોગેશ ચૌધરી અને જિલ્લા કલેકટર ભવ્ય વર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્ટર ફાયર સ્ટેશનની બાજુમાં નિર્માણ પામશે. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આ નવા સેન્ટરમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તાલીમ આપવામાં આવશે.સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર દેવેન્દ્ર સગરના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ માટે 6500 ચોરસ મીટર જગ્યામાંથી 2800 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં ગ્રીન બિલ્ડિંગ ધોરણો મુજબ હાઇટેક સેન્ટર બનશે. આ સેન્ટર કુદરતી અને ઔદ્યોગિક આપત્તિઓને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વાપી મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે આ સેન્ટરથી આગ, પુર કે ઇમરજન્સી જેવી ઘટનાઓમાં અસરકારક રીતે કામગીરી થઈ શકશે. કલેકટર ભવ્ય વર્માએ ઉમેર્યું કે 2003થી ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. કાર્યક્રમમાં વિવિધ ઔદ્યોગિક સંગઠનોના પ્રમુખો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું અને નોટિફાઈડ વિસ્તારના ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારીએ આભારવિધિ કરી હતી. સેન્ટરમાં ઉપલબ્ધ મહત્વપૂર્ણ સુવિધાઓ આપત્તિ સમયે ઉપયોગી સાધનો

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:30 pm

મુંબઈમાં પ્રથમ મિસ અને મિસિસ કચ્છી 2025 પેજન્ટ:16થી 68 વર્ષની 29 મહિલાઓએ કચ્છી પરંપરાને કર્યું જીવંત, કવિતા ઠક્કર અને પ્રિયા ગિન્દ્રા બન્યા વિજેતા

થાણાની એન.કે.ટી. કોલેજના સભાગૃહમાં સમર્થ માનવ ગૌરવ ફાઉન્ડેશન દ્વારા મિસ અને મિસિસ કચ્છી 2025 બ્યુટી પેજન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેજન્ટમાં મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી સાહિત્ય, સૌંદર્ય અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી પ્રતિભાઓએ ભાગ લીધો હતો. કચ્છી સંસ્કૃતિને જીવંત રાખવા માટે સમસ્ત કચ્છ વાગડ સમાજની 29 મહિલાઓએ કચ્છી પહેરવેશ અને બાંધણીમાં ભાગ લીધો હતો. મિસિસ કેટેગરીમાં કવિતા ઠક્કર વિજેતા બન્યા હતા. અલ્પા ભદ્રા પ્રથમ રનર-અપ, જુલી ગોસર દ્વિતીય રનર-અપ અને સંગીતા ગંગર તૃતીય રનર-અપ રહ્યા હતા. મિસ કચ્છી 2025 કેટેગરીમાં 8 યુવતીઓએ ચણિયા ચોળીમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રિયા ગિન્દ્રા વિજેતા બન્યા અને ખુશી સાવલા રનર-અપ રહ્યા હતા. અતિથિ વિશેષ નાનજીભાઈ ઠક્કરે વિજેતાઓને ક્રાઉન, સેશ અને સ્મૃતિચિન્હથી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના શો ડિરેક્ટર તરીકે પ્રીતિ મણિયાર અને દીપ્તિ વોરાએ સફળ આયોજન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:27 pm

લખતરના વિઠ્ઠલગઢ ગામમાં બાળકોની મુશ્કેલી:શાળાના માર્ગ પર કાદવ-કીચડથી વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને હાલાકી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામમાં ચોમાસાની શરૂઆત સાથે જ ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામના મુખ્ય માર્ગો અને શાળાના રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાએ પહોંચવા માટે કાદવ-કીચડમાંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિમાં બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે. વૃદ્ધોને પણ આ માર્ગો પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની ચિંતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ લપસી પડે તો જાનહાનિ થઈ શકે છે. ગામમાં ઠેર-ઠેર ખાડા અને ખાબોચિયા છે. તાજેતરમાં જ ગામમાં સરપંચ પદની પેટા ચૂંટણી યોજાઈ હતી. ગ્રામજનોની માગણી છે કે નવનિયુક્ત સરપંચ આ સમસ્યાનું નિરાકરણ લાવે. ગ્રામપંચાયત માર્ગોનું રિપેરિંગ કરી કાદવ-કીચડ દૂર કરે તેવી લોકોની માગણી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:25 pm

VIDEO: બ્રિટનનું 900 કરોડનું ફાઈટર જેટ ખેંચીને લઈ જવું પડ્યું, ભારત આવી રોયલ નેવીની ખાસ ટીમ

British F-35 Fighter Jet: બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે. તેવામાં ફાઈટર જેટમાં સર્જાયેલી ખામીનું મૂલ્યાંકન કરવાને લઈને બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. આ ફાઈટર જેટને હવે રવનેથી હટાવીને હેંગરમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે F-35B ફાઈટર જેટને હેંગરમાં શિફ્ટિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરની ટીમ ભારત પહોંચી હવે F-35B ફાઈટર જેટનું ભારતમાં સમારકામ કરાશે કે, બ્રિટન પાછું મોકલવામાં આવશે તેને લઈને એરબસ A400M એટલાસ વિમાનમાં ભારત આવેલી નવી એન્જિનિયરિંગ ટીમ નક્કી કરશે.

ગુજરાત સમાચાર 6 Jul 2025 6:21 pm

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો!:શહેરમાં પોણો ઇંચથી વધુ વરસાદ, પૂર્વ વિસ્તારમાં બે ઇંચ વરસતાં પાણી ભરાયા છતાં તંત્ર ફીલ્ડમાંથી ગાયબ

અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા નારોલ, મણીનગર, ઓઢવ, વિરાટનગર, નિકોલ, રામોલ, કઠવાડા, હાથીજણ સહિતના વિસ્તારોમાં પડ્યો છે. નારોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:11 pm

'છબી ખરાબ હોવાથી ઉદ્યોગપતિ રોકાણ કરવા નથી આવતા':પોરબંદર અંગે કેન્દ્રીય મંત્રી માંડવિયાનું નિવેદન, કોંગ્રેસના નેતાઓ બોલ્યા- 30 વર્ષમાં ભાજપે શું કર્યું?

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં રૂ. 1280.48 લાખના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરની છબી અંગે જણાવ્યું છે કે, શહેરની ખરાબ છબીને કારણે ઉદ્યોગપતિઓ અહીં રોકાણ કરવા આવતા નથી. જોકે, તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે છેલ્લા 30 વર્ષમાં ભાજપ સરકારે પોરબંદરના વિકાસ અને ઉદ્યોગો માટે શું કર્યું, અને ઉદ્યોગોને આકર્ષવાની જવાબદારી સરકારની જ હોવી જોઈએ. પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને ગઇકાલે શનિવારે પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત) હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રકમ રૂપિયા 1280.48 લાખના કુલ ખર્ચે હાથ ધરાનારા કામગીરીઓના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેનો વિવાદ વકર્યો છે. શહેરની ખરાબ છબીને કારણે ઉદ્યોગપતિઓ અહીં રોકાણ કરવા આવતા નથી - કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાડો.મનસુખ માંડવિયાએ એવુ નિવેદન કર્યુ હતુ કે, પોરબંદરમા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી, નવી ઉદ્યોગિક શક્યતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. શહેરની ખરાબ છબીને કારણે ઉદ્યોગપતિઓ અહીં રોકાણ કરવા આવતા નથી. ​​​​​​​પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે. કોગ્રેસના નેતાઓએ કર્યા પ્રહારોનિવેદનને લઇ આજે પોરબંદર જીલ્લા કોંગ્રેસના નવનિયુકત પ્રમુખના અભિવાદન સામારોહમાં આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લલીત વસોયા અને પાલ આંબલીયાએ ભાજપ સરકાર પ્રહારો કર્યા હતા પોરબંદરમા સતિષ વર્મા જેવા અધિકારી લાવો - જીજ્ઞેશ મેવાણીપોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના ઉદ્યોગ અંગેના નિવેદનને લઇ જીજ્ઞેશ મેવાણીએ એવુ જણાવ્યું હતું કે, જયા વેપારી વાણિજયની સંસ્કૃતિ છે. એવા ગુજરાતમા વેપાર ઉદ્યોગ ખીલશે તેવું કહેવાના બદલે પોરબંદરની જનતા પર કલેમ કરી રહ્યા છે ત્યારે સરકાર તમારી છે. અહિં સતિષ વર્મા જેવા અધિકારીઓ ગુંડાઓનો સફાયો કરે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની છે તે તમે જવાબદારી સમજતા નથી જે રાજયના મંત્રી કહેતા હોય તો સરકારે શરમ અનુભવી જોઇએ કોગ્રેસના શાશનમા 135 તાલુકામા ઉદ્યોગો ચાલતા હતા હાલ તો કોર્પોરેટ લુંટ ચાલી રહી છે તેમા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતુ પોરબંદરમા ગુંડાગીરી નથી ભાજપ અરોમાર્યુ વર્તન કરે છે - લલીત વસોયાડો. મનસુખ માંડવિયાના નિવેદનને લઇ કોંગ્રેસ નેતા લલીત વસોયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી અને કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાથી ગુંડાગીરી નાબુદ થયાની વાત કરો છો અને તેમજ સ્ટેજ પરથી સ્ર્વિકારો છો કે પોરબંદરની છાપ ખરડાયેલી છે. વ્યકિતગત માનું છું કે પોરબંદરમાં એવી કોઇ ગુંડાગીરી નથી પોરબંદર પ્રત્ય ભાજપનું અરોમાર્ય વર્તન હોય તેવુ લાગી રહ્યું છે. 30 વર્ષથી ભાજપની સરકાર શુ કરે છે - પાલ આંબલીયાપોરબંદરના સાંસદના નિવેદન અંગે પાલ આંબલીયા જણાવ્યું હતું કે, ગુજરાતમા 30 વર્ષ ભાજપની સરકાર છે. તો અત્યાર સુધી ભાજપ સરકાર શુ કરતી હતી કેમ તેમણે પોરબંદરની છાપ શુધારવાનો પ્રયાસ કયો નહિં મને શંકા છે કે ડો.મનસુખ માંડવિયા નથી ઇરછતા કે પોરબંદરમા ઉદ્યોગો આવે જેમની નરેન્દ્ર મોદીની બાજુમા મંત્રી ખુરશી હોય તે મંત્રી એવુ કહે કે પોરબંદરની છાપ ખરડાયેલી છે. આથી ઉદ્યોગપતિઓને ઇનડાઇરેકટ ઇસારો કરે છે. પોરબંદરમા આવતા નહિં જાણી જોઇએ પધ્ધતિસરનુ નિવેદન છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:03 pm

'ગમે ત્યારે થઈ શકે છે વિશ્વ યુદ્ધ, સુપરપાવર દેશોની તાનાશાહીના કારણે સંઘર્ષનો માહોલ', નીતિન ગડકરીનું મોટું નિવેદન

Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની આગાહી કરી છે. તેમણે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં ગમેત્યારે વિશ્વ યુદ્ધ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, મહાસત્તા ધરાવતા દેશોની તાનાશાહી અને સરમુખત્યારશાહીના કારણે વિશ્વમાં શાંતિ, પ્રેમ અને એકતા દૂર થઈ રહી છે. ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નીતિન ગડકરીએ નાગપુરમાં 'બિયોન્ડ બોર્ડર્સ' નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલા બે યુદ્ધ (રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયલ)ના કારણે ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થવાની સંભાવના વધી છે.

ગુજરાત સમાચાર 6 Jul 2025 6:00 pm

204 તાલુકામાં મેઘરાજા ગર્જયા:હાઇવે પર 20-25 ફુટ લાંબા ખાડા, અશ્લીલ વીડિયો વાઇરલ થવાના ડરે આપઘાત કરનાર યુવતીનો અંતિમ વીડિયો સામે આવ્યો

24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ વરસ્યો. વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે ભરૂચના બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુણસર ધોધ સીઝનમાં પહેલીવાર જીવંત બન્યો 24 કલાકમાં ભિલોડામાં 6 ઈંચ વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો 250 ફૂટ ઊંચેથી પડતો સુણસર ધોધ આ સીઝનમાં પહેલીવાર જીવંત બન્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર 20-25 ફુટ લાંબા ખાડા બીજી તરફ ચોમાસાની શરૂઆત સાથે જ સુરત જિલ્લાના રસ્તાઓની હાલત કથળવાનું શરૂ થઈ ગયું. કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર 20 થી 25 ફુટ લાંબા ખાડા પડ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એકસાથે 17 સિંહ લટાર મારતા જોવા મળ્યા ભાવનગરના જેસર પંથકમાં એકસાથે 17 સિંહ લટાર મારતા જોવા મળ્યા... ભાગ્યે જ એકસાથે જોવા મળતા સિંહોના આ 1 મિનિટના અદભુત દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયાં છે આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો યુવતીના આપઘાત પહેલાંનો વીડિયો સામે આવ્યો અમદાવાદના જગતપુરમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ થતા મોતની છલાંગ લગાવી હતી.આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે 14માં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કુદીશ તો બચી જઈશ,અહીંયાથી કુદીશ તો હાડકા પણ નહીં મળે. જોકે આ વીડિયોની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભૂવાએ વિધિ કરાવવાનાં બહાને 32 લાખ પડાવી લીધા સાબરકાંઠાના રાવોલ ગામનો એક વેપારી ભૂવાની 'એકના ડબલ'ની લાલચમાં ફસાયો. ભૂવાએ 'હું રૂપિયાનો વરસાદ કરી આપીશ' કહી વેપારીને મોહિત કર્યો ને વિધિ કરાવવાનાં બહાને 32 લાખ પડાવી લીધા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AAPએ ભાજપના ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી 3 ખાનગી ટ્રસ્ટોને સોંપવાનો નિર્ણય કરાતા સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે આજે 'આપ'ના કાર્યકરોએ ભાજપના ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હોસ્પિટલ સામે બાયપાસ સર્જરીમાં બેદરકારીનો આક્ષેપ રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં બાયપાસ સર્જરીમાં બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે...યુવાનના મોત મામલે પરિવારે SIT અને પેનલ પોસ્ટમોર્ટમની માગ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જમાઈએ સાસુ-સસરાની હત્યા કરી મહુવામાં જમાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને સાસુ-સસરાની હત્યા કરી. પત્ની અન્ય સાથે ભાગી જતા ગુસ્સામાં આવી જમાઈએ સાસુ-સસરાને પતાવી દીધા. પોલીસે જમાઈની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માતા-પુત્ર સહિત ત્રણેયે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો રાધનપુર-મહેસાણા રોડ પર રીક્ષા અને આઈસર વચ્ચે ભયંકર ટક્કર થઈ. આઈસર સાથેની ટક્કરમાં રિક્ષાના કૂરચેકૂરચા ઉડી ગયા ને રિક્ષામાં સવાર માતા-પુત્ર સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 6:00 pm

ધોરાજીમાં 'સન્ડે ઓન સાયકલ' અને 'ફાઇટ ઓબેસિટી' હેઠળ સાયકલ રેલી:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- 'સપ્તાહમાં એક દિવસ સાયકલ ચલાવી ફિટ રહો'

આજરોજ રવિવારના શુભ દિવસે ધોરાજી શહેર ફિટ ઇન્ડિયા, સન્ડે ઓન સાયકલ અને ફાઇટ ઓબેસિટી અભિયાન હેઠળ યોજાયેલી ભવ્ય સાયકલ રેલીથી ગુંજી ઉઠ્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં આયોજિત આ રેલીમાં ધોરાજીના વિવિધ માર્ગો પર મોટી સંખ્યામાં લોકો પણ આ સાયકલ રેલીમાં જોડાયા હતા. ધોરાજીના સરદાર ચોકથી શરૂ થયેલી આ સાયકલ રેલી જેતપુર રોડ, સ્ટેશન રોડ, જીન મિલ રોડ અને માતાવાડી રોડ પરથી પસાર થઈને ફરી સરદાર ચોક ખાતે સમાપ્ત થઈ હતી. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલની સવારી કરી હતી. અને લોકોને સપ્તાહમાં એક દિવસ સાયકલ ચલાવી ફિટ રહેવા માટે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, સન્ડે ઓન સાયકલ હવે સમગ્ર દેશમાં એક ચળવળ બની ચૂકી છે. રવિવારે સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવા થીમ હતી. જેમાં ગઈકાલ સુધીમાં, 'ફિટ ઇન્ડિયા' પ્લેટફોર્મ પર 6,000થી વધુ સ્થળોએ દેશભરમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ સાથે જોડાઈ રહ્યા છે. લોકો સ્વસ્થ રહેવા, પ્રદૂષણ ઘટાડવા અને 'ફિટ ઇન્ડિયા' અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. તેમણે ધોરાજીના નાગરિકોને પણ સપ્તાહમાં એકવાર એક કલાક સાયકલ ચલાવીને સ્વયંને ફિટ રાખવાનો અને સમાજને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો. જૂનાગઢથી આવેલ રાજવી ડેરારાએ પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મેરા યુવા ભારત જૂનાગઢ માંથી આવ્યા છે અને ધોરાજીની સાયકલ રેલીમાં જોડાઈને ખૂબ આનંદ થયો છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિ અને જૂનાગઢ પોલીસના સહયોગની પ્રશંસા કરી હતી. રાજવીએ સાયકલ ચલાવવાથી સ્ફૂર્તિ આવે છે અને શરીરને વિવિધ કસરત મળે છે તેમ જણાવીને લોકોને અઠવાડિયામાં એકવાર રવિવારે સાયકલ ચલાવવાની અપીલ કરી હતી. તેમણે પેટ્રોલ અને ડિઝલની બચત કરવા માટે પણ સાયકલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ સાયકલ રેલી ધોરાજીના સરદાર પટેલ ચોકથી શરૂ થઈ હતી. ત્યારબાદ સ્વાતિ ચોક, અવેડા ચોક, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, અને બાપુના બાવલા ચોક સુધી ગઈ હતી. ત્યાંથી પરત ગેલેક્સી ચોક, અવેડા ચોક, લિબર્ટી રોડ અને માતાવાડી ચબૂતરા રોડ થઈને સરદાર પટેલ ચોક ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તેમજ રવિ માકડીયા, વિમલ કોયાણી, અલ્પેશ ઢોલરીયા સહિતના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને અગ્રણીઓ ઉપરાંત યુવાનો, યુવતીઓ, વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 5:59 pm

MSUના વિદ્યાર્થીનો 8મા માળેથી કૂદી આપઘાત:પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 'પાળી પર ઉભા યુવકને જોઇને મને શંકા ગઈ ને પોલીસને કોલ કર્યો, પણ 1 મિનિટમાં જ તે કૂદી ગયો'

વડોદરા શહેરના અક્ષર ચોક વિસ્તારમાં આવેલી 8 માળની મેપલ વિસ્ટા બિલ્ડીંગ પરથી કૂદીને MS યુનિવિર્સિટીમાં મિકેનિકલ એન્જિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરવા બિલ્ડીંગ પર ચડેલા યુવકને એક જાગૃત નાગરિક જોઇ ગયો હતો અને તાત્કાલિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિદ્યાર્થીને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યોવડોદરા શહેરનો 22 વર્ષીય યુવક એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને કામ અર્થે નિકળ્યો હતો અને આ દરમિયાન તે મેપલ વિસ્ટા બિલ્ડીંગ પર ચડી ગયો હતો અને આઠમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. જો કે, આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટનાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે વિદ્યાર્થીને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત થયું હતું. જે.પી. રોડ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે. અમે પોલીસને ફોન કર્યો ત્યાં જ કૂદકો મારી દીધોઘટનાને નજરે જોનાર પ્રત્યક્ષદર્શી સમીર શાહે જણાવ્યું હતું કે, હું મારા મિત્રો સાથે સંકેત હાઇટ્સના આઠમા માળે ઉભો હતો. એ સમયે એક વ્યક્તિ મેપલ વિસ્ટા બિલ્ડીંગની પાળી પર ફરતો જોવા મળ્યો હતો. જેથી મને શંકા ગઈ હતી અને મે તુરંત જ 100 નંબર ઉપર ફોન કર્યો હતો. જો કે આ સમયે જ તેને કૂદકો મારી દીધો હતો, જેથી હું શોક થઈ ગયો હતો. અમે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. આ યુવક અમારાથી 200થી 300 મીટરની દૂરી પર હતો અને અમને જોયા પછી તુરંત કૂદી ગયો હતો. જેથી અમે તેને બચાવી શક્યા નહોતા. જો સમય મળ્યો હોત તો અમે તેને ચોક્કસથી બચાવી શક્યા હોત. 'આપઘાત કરતો રોકવા અમે ટીમ સાથે પહોંચ્યા હતા'વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નંદકિશોર સોલંકીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળ્યો હતો કે, 8 માળની મેપલ વિસ્ટા બિલ્ડીંગ પર એક યુવક ચડ્યો છે અને તેને આપઘાત કરતો રોકવા માટે અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. જો કે, અમે પહોંચીએ તે પહેલા યુવક બિલ્ડીંગ પરથી કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 5:27 pm

ચૈતર વસાવા કેસમાં કોર્ટ બહાર ગોપાલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર, ચૈતરની જામીન અરજી પણ રદ્દ; કોર્ટ બહાર વકીલોનો હોબાળો, ડેડીયાપાડામાં 144 લાગુ, ચૈતરને વડોદરા જેલ ખસેડાયા

ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે લાફા કાંડ મામલે ધરપકડ કરાયેલા AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નર્મદા પોલીસે માગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે. સાથે જ વસાવાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. બીજી બાજુ કોર્ટ બહાર પોલીસ સાથે ઘર્ષણ થતા તેમજ વકીલોએ કોર્ટમાં અંદર જવા મુદ્દે હોબાળો કરતા ડેડીયાપાડાના SDM અને DYSPએ ડેડીયાપાડામાં 144 લાગુ કર્યાની જાહેરાત કરી છે. પરિસ્થિતિને જોતા ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યાં છે. હવે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશીએ જણાવ્યું, “પોલીસે 5 દિવસના રિમાન્ડની અરજી કરી હતી. જેની સામે અમે દલીલ હતી આ કેસમાં રિમાન્ડની જરૂર નથી. આ એક આ રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી અરજી છે. દલીલને કોર્ટે માન્ય રાખીને પોલીસની 5 દિવસની રિમાન્ડ અરજી ફગાવી દીધી છે. ત્યારબાદ અમારા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. પોલીસે FIRમાં જાણી જોઈને કલમ 307 ઉપરાંત નવી કલમ 109 લગાડી છે જેમાં 10 વર્ષની કેદની સજા છે. એ કલમ પણ અમે રદ્દ કરાવી છે. હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે અને અમારે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના છે.” કોર્ટ બહાર ગોપાલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીઆ દરમિયાન LCB કચેરી ખાતે ચૈતર વસાવાના વકીલ તરીકે પહોંચેલા ગોપાલ ઇટાલિયાને તેમની સાથે મુલાકાત કરવાની મંજૂરી ન મળતાં વિવાદ સર્જાયો હતો. પોલીસે મુલાકાતની પરવાનગી ન આપતાં કોર્ટ બહાર ઇટાલિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ભાજપના નેતાઓને છાવરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બળાત્કારની FIR છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે આરોપ મૂક્યો કે ભાજપના નેતાઓ માટે અલગ અને આમ આદમી પાર્ટીના નેતાઓ માટે અલગ કાયદો લાગુ કરવામાં આવી રહ્યો છે. આ આખી ઘટના બની જ નથી : ગોપાલ ઈટાલિયાકોર્ટ બહાર ગોપાલ ઈટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે 14 મુદ્દાઓને આધારે 5 દિવસના રિમાન્ડની અરજી મુકી હતી. આ અરજી મેં વાંચી છે. અરજીમાં ફરિયાદીએ જે પ્રમાણે લખાવ્યું છે એ મુજબની આખી ઘટના બની જ નથી. બેઠકમાં સામાન્ય ચર્ચા થાય છે, જેમાં બોલાચાલી થાય છે. ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે. ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ પર પાણીનો ગ્લાસ પડ્યો હતો તે ગ્લાસ લઈને છૂટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો. ફરિયાદીએ FIRમાં લખાયેલ પ્રમાણે ગ્લાસ છૂટ્ટો ફેક્યો ત્યારે ફરિયાદી જે હતા તેના માથા પર પોલીસે આડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી. હવે આ ઘટનાને સાચી માની લઈએ તો જાનથી મારી નાખવાની ધમકી ક્યાંથી આવે? છૂટ્ટો ગ્લાસ માર્યો પણ કોઈને લાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં હતી? કોર્ટ બહાર વકીલોનો હોબાળો, એક વકીલે પોલીસને દંડવત પ્રણામ કર્યાચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટ બહાર વકીલોનો ભારે હોબાળો જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત એટલો સખત હતો કે વકીલોને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા ન હતા, ભલે તેમને કોઈ અન્ય કામ હોય. આ પરિસ્થિતિમાં, ભરૂચના વકીલ આકાશ મોદીએ કોર્ટ બહાર દંડવત પ્રણામ કરીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોલીસને વિનંતી કરી કે તેઓ કોઈ પક્ષના નહીં, પરંતુ અંગત કામથી આવ્યા છે. તેમ છતાં, પોલીસે તેમને અંદર જવા દીધા નહિ, જેના કારણે આકાશ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સુધી આ બાબતે ફરિયાદ કરી હતી. નર્મદા પોલીસે કોર્ટના દરવાજા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 5:10 pm

પ્રોહી લીસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત:વેજલપુરના પ્રકાશ પટેલને ભરૂચ મધ્યસ્થ જેલમાં મોકલાયો, વિદેશી દારૂના 5 ગુના નોંધાયેલા

ગોધરા એલસીબી પોલીસે કાલોલ તાલુકાના વેજલપુર ગામના પ્રોહી લીસ્ટેડ બુટલેગર પ્રકાશભાઇ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલની પાસા હેઠળ અટકાયત કરી છે. આરોપી વિરુદ્ધ ગોધરા શહેર બી.ડીવીઝન, ગોધરા તાલુકા, કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના કુલ પાંચ ગુના નોંધાયેલા છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની પ્રવૃતિ નાબૂદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એલસીબી ઇન્ચાર્જ આર.એ.પટેલને આ અંગે સૂચનાઓ આપી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે તૈયાર કરેલી પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ મંજૂર કરી હતી. એલસીબી ટીમે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં એએસઆઈ નાદીરઅલી નિઝામુદ્દીન સહિત આઠ પોલીસકર્મીઓની ટીમ સામેલ હતી. આરોપીને ભરૂચની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 5:01 pm

મહીસાગરમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના પિતાના બેસણામાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા:સંતરામપુર ટાઉન હોલમાં સ્વ. મનસુખભાઈના બેસણામાં મંત્રીઓ-ધારાસભ્યોએ શ્રદ્ધાંજલિ આપી

મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન હોલમાં આજે રવિવારે શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના પિતા સ્વ. મનસુખભાઈ મોતીભાઈ ડિંડોરનું બેસણું યોજાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેસણામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વ. મનસુખભાઈનું 2 જુલાઈના રોજ નિધન થયું હતું. તેમની અંતિમવિધિ તેમના વતન સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ શિક્ષણમંત્રી કુબેરભાઈ અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સોમાભાઈ મોદી સહિતના નેતાઓએ હાજરી આપી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ધારાસભ્યો અને અધિકારીઓ પણ બેસણામાં ઉપસ્થિત રહ્યા. મહીસાગર અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો અને સમાજના અગ્રણીઓએ પણ સ્વ. મનસુખભાઈને શ્રદ્ધાંજલિ આપી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:59 pm

આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટનારાઓને પકડવા સુરત પોલીસ રાજસ્થાન પહોંચી:9 કલાકના અંતરે પેઢીના બે કર્મચારીઓ પાસેથી હીરાના પાર્સલ લૂંટી આરોપીઓ ફરાર, પોલીસે 17 દિવસ વોચ રાખી ધરપકડ કરી

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ચોરી કરવામાં આવી હતી. વરાછાના વૈશાલી ત્રણ રસ્તા પર જ કર્મચારીને શિકાર બનાવી 25 લાખનાં હીરાનું પાર્સલ ચોરી કરી હતી. એક જ આંગડિયા પેઢીના બે કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને પોલીસને આ ગેંગે પડકાર ફેંક્યો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં વરાછા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. 17 દિવસ સુધી આ ગેંગને પકડવા માટે મારવાડી વેશ ધારણ કર્યો હતો. ત્યારબાદ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હીરા-સોનાના પાર્સલ લઈને ડિલિવરીમેન ટ્રાવેલ્સમાં બેઠો હતોઆર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો પ્રફુલ્લ પરષોત્તમ પટેલ (રહે. લક્ષ્મીનારાયણ સોસા., હીરાવાડી, બાપુનગર, અમદાવાદ)થી 16 જૂનના રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યે 24.10 લાખના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. 17મીની મળસ્કે સવા પાંચ વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી હતી. ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો, તે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે બેસેલા બે ગઠિયા તે લઇને ઊતરી જતાં ધમાચકડી મચી હતી. આરોપીઓ રાજસ્થાની ચાર પોલીસકર્મીઓની ટીમ રાજસ્થાન મોકલીઆગલી રાત્રે 16.56 લાખની લૂંટ તો કારમાં અપહરણ કરીને કરાઇ હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતી, તેના 9 કલાકમાં બીજા કર્મચારીને ટાર્ગેટ કરી ચોરી કરી લેવાતાં પોલીસ દોડતી થઇ હતી. ઉપરાછાપરી બે ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર ગેંગનું પગેરું મેળવવા પોલીસ છેક આરોપીઓ રાજસ્થાની હોવાની જાણ થતા ચાર કર્મીઓની એક ટીમ રાજસ્થાન મોકલી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યોPSI વીડી માળી, વિજયસિંહ, લાલાભાઇ અને સંદીપભાઈ સહિતના વરાછા પોલીસના કર્મચારીઓ 17 દિવસ સુધી અહીં રહ્યા હતા. રાજસ્થાનમાં જ રહી ત્યાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા. આ સાથે જ છેલ્લા 17 દિવસથી રાજસ્થાનીઓનો મારવાડી પહેરવેશમાં વેશપલટો કરી આરોપી પર વોચ રાખી રહ્યા હતા. આ દરમિયાન બે આરોપી બલવંતસિંહ ઉર્ફે બલ્લુ નેન્સીંગ રાજપુતને રાજસ્થાનના ઝાલોર ખાતેથી અને ભવાની સિંહ ઉર્ફે ભમાસા તનસી રાજપુતને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 15.56 લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ પણ કબજે લીધો છે. હાલ તો આ બંને આરોપીઓને રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યા છે. બંને આરોપીઓને અન્ય મુદ્દામાલ, અન્ય કોઈની આ ઘટનામાં સંડોવણી સહિતના મુદ્દે પૂછપરછ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:58 pm

તાજીયાનું વિસર્જન જોવા ગયેલા કિશોરનું તળાવમાં ડૂબી જતા મોત:વડોદરામાં માતમના તહેવારમાં એક પરિવારમાં માતમ છવાયો, બે કલાકે મૃતદેહ મળી આવ્યો

વડોદરા શહેરમાં માતમના પર્વ તાજીયા વિસર્જન દરમિયાન કરૂણ ઘટના બની હતી. વડોદરાના સરસિયા તળાવ કિનારે મિત્રો સાથે તાજીયા વિસર્જન જોવા ગયેલા 16 વર્ષના માહીર મુસ્તાકભાઈ મન્સુરી નામના બાળકનું તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. સવારે ડૂબી ગયેલા માહીરનો મૃતદેહ વિસર્જન કરાયેલા તાજીયાના વાંસમાં ફસાઈ જતાં બે કલાક બાદ મળી આવ્યો હતો. સવારે બનેલી આ ઘટનાએ માતમના પર્વમાં માતમ છવાઈ દીધો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે. તાજીયા વિસર્જન દરમિયાન દુર્ઘટનાશહેરમાં દસ દિવસ માટે સ્થાપના કરાયેલા તાજીયાનું આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવેલા તાજીયાનું સવારથી શહેરના એકમાત્ર ફતેપુરા ખાતે આવેલા સરસિયા તળાવમાં વિસર્જન શરૂ થઈ ગયું હતું. સવારથી પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજીયા વિસર્જન યાત્રાઓ સરસિયા તળાવમાં તાજીયા વિસર્જન કરવા માટે આવી રહી હતી. ત્યારે તળાવના કિનારે મોટી સંખ્યામાં લોકો તાજીયા વિસર્જન જોવા માટે ઉમટી પડ્યા હતા. માહીરનો પગ લપસતા તે તળાવમાં પડી ગયો હતોસવારે લગભગ 9:30 વાગ્યાના સુમારે ફતેપુરા, સરસિયા તળાવ પાસે રહેતો 16 વર્ષનો માહીર મુસ્તાકભાઈ મન્સુરી પોતાના મિત્રો સાથે તળાવના કિનારે ઊભો રહી તાજીયા વિસર્જન જોઈ રહ્યો હતો. દરમિયાન, એકાએક માહીરનો પગ લપસતા તે તળાવમાં પડી ગયો હતો. મિત્રોની નજર સામે જ તળાવમાં પડી ગયેલા માહીરને બચાવવા માટે તેના મિત્રોએ બુમરાણ મચાવતા લોકો દોડી આવ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યોઉંડા પાણીમાં અને વિસર્જન કરાયેલા તાજીયાના વાંસમાં ફસાઈ જવાને કારણે માહીર મળી રહ્યો ન હતો. લગભગ બે કલાકની શોધખોળ બાદ, સવારે 11:30 વાગ્યે માહીરનો મૃતદેહ મળી આવ્યો હતો. પુત્ર તળાવમાં ડૂબી ગયો હોવાના સમાચાર મળતા દોડી આવેલા ગેરેજ ચલાવતા પિતા મુસ્તાકભાઈ મન્સુરી, તેમના પત્ની શબાનાબાનું સહિત અન્ય પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવને પગલે તાજીયા વિસર્જનમાં આવેલા લોકોમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી. માહીર મન્સુરી ધોરણ-11માં જીવન સાધના સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેઓ ત્રણ ભાઈ-બહેન છે, જેમાં માહીર બીજા નંબરનો પુત્ર હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યોઆ બનાવ અંગે સંબધિત પોલીસે મૃતદેહનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સયાજી હોસ્પિટલમાં માહીરના પરિવારજનો સહિત વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:46 pm

IPS અધિકારીની બદનામ કરવાનું કાવતરું:સુરતના પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવનાર સામે ગુનો નોંધાયો

ગાંધીનગરમાં રહેતા પૂર્વ સુરત પોલીસ કમિશનર સતીષ શર્માની બદનામી કરવાના પ્રયાસ મામલે ચાર આરોપીઓ સામે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ કેસ બીએનએસ એક્ટની કલમ 318, 217, 356, 248, 351 અને 3(5) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત આઇપીએસ સતીશ શર્માએ સેક્ટર 7 પોલીસ મથકમાં બે ઈસમો અને મુંબઈ, બેંગલોરની કંપની સામે સામે ફરિયાદ નોંધાવી છે. આર્થિક વ્યવહારો અને નાણાની રિકવરીમાં પોતાના નામ અને મોબાઈલ નંબરનો દુરુપયોગ કરી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો આરોપ તેમણે લગાવ્યો છે. એક ફોજદારી કેસમાં મુંબઈ મેટ્રો પોલિટન કોર્ટનું સમન્સ આવ્યા પછી સતીશ શર્માને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી. સતીષ શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 2019માં પોલીસ કમિશનર પદેથી નિવૃત્ત થયા બાદ માત્ર બે કંપનીઓ - સિકલ લિમિટેડ મુંબઈ અને મહેતા ફિનકોનક સર્વિસીસ લિમિટેડ સુરત માટે પાર્ટટાઈમ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. તેમણે નિવૃત્તિ સમયે એક યુટ્યુબ વીડિયો પણ રિલીઝ કર્યો હતો. જેમાં તેમનો સત્તાવાર મોબાઇલ જાહેર કરેલો અને કોઈને મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું. નિવૃત પછી પણ સરકાર તરફથી તેમને એ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાની મજૂરી અપાઈ છે. 30 મે 2025ના રોજ તેમને નવી મુંબઈની બેલાપુર JMFC કોર્ટ તરફથી સમન્સ મળ્યું હતું. આ સમન્સમાં મુંબઇનાં રોક સેરાવે દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અરજીનો જવાબ આપવાનું જણાવવામાં આવ્યું હતું. ફરિયાદની વિગતો તપાસતા જાણવા મળ્યું કે વિનોદ જયસ્વાલે તેમનો મોબાઈલ નંબર વાપર્યો હતો, જે જાહેર ડોમેઈનમાં સરળતાથી ઉપલબ્ધ છે. મુંબઈની મેટ્રો કોર્ટ તરફથી મળેલા સમન્સની ફરિયાદની વિગતવાર તપાસ કરતા મે. બ્રાન્ડ મેકર્સ અને બેંગ્લોરની મઝાર અલી બેગ્સ નામની કંપનીઓનાં વિનોદ જયસ્વાલ અને રોક સેરાવ વચ્ચે આર્થિક વ્યવહારો થયેલા હતા. જેમાં વિનોદ જયસ્વાલે રોક સેરાવ સાથે મોટી આર્થિક રકમની ઠગાઈ કરી હતી. જેમાં મારી પણ સંડોવણી હોવાનો ઉલ્લેખ કરેલો. વાસ્તવમાં હું નિવૃતિ પછી બેંગલોર ગયો નથી કે ઉપરોક્ત ઈસમો કે કંપની વિશે જાણતો નથી. વાસ્તવમાં વિનોદ જયસ્વાલ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્યોને કારણે આરોપી રોક સેરાવ દ્વારા મને ઉપરોકત ફરિયાદમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. વિનોદ જયસ્વાલને મોટી રકમ આપ્યા પછી અથવા તે પછી અત્યાર સુધી રોક સેરાવે ક્યારેય મારો રૂબરૂ ફોન પર કે અન્ય કોઈ રીતે સંપર્ક કર્યો નથી.આરોપી જયસ્વાલે મારા નામે પૈસા લઈને અને રોક સેરાવને ખોટા વચનો આપેલાનું જણાઈ આવે છે. જે વ્યક્તિએ મારા નામે આટલા મોટા પૈસા ચૂકવ્યા છે તેણે ક્યારેય મને ફોન કે મેસેજ કરવાની તરસ્દી લીધી નથી. આરોપીઓએ સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે મારી પ્રતિમાને નુકસાન પહોંચાડવાના ઈસદાથી મને બદનામ કર્યો છે. હું ભૂતપૂર્વ જાહેર સેવક અને હાલમાં ગુજરાત હાઈકોર્ટનો વકીલ છું. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી મારી સામે ખોટા ગુનાના આરોપો મૂકવામાં આવ્યા છે. આ અંગે સેકટર - 7 પોલીસે વિનોદ જયસ્વાલ અને રોક સેરાવે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:42 pm

પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડની સફળતા:દેવગઢ બારીયાના હત્યા-અપહરણ કેસનો 5 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો

પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના હત્યા અને અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો. પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. PSI બી.એમ.રાઠોડની સૂચના મુજબ આરોપીઓને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સ્કવોર્ડના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈને મળેલી માહિતી મુજબ, આરોપી પંકજભાઇ ઉર્ફે પીન્ટુ પટેલ સુરતના સચિન GIDC વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મૂળ ગોધરા તાલુકાના સરસાવ ગામનો રહેવાસી છે. દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 300/2020માં IPC કલમ 302, 365, 342, 323, 114 હેઠળ આરોપી વોન્ટેડ હતો. પેરોલ ફર્લો ટીમે સચિન GIDC વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી, વધુ કાર્યવાહી માટે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:41 pm

મહીસાગર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી:બાલાસિનોર શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, વાહનચાલકોને મુશ્કેલી

હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ-મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં 6 જૂને વરસાદની શરૂઆત થઈ છે. બાલાસિનોર શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોર પછી અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે બાલાસિનોર નગરપાલિકા સામેના મુખ્ય હાઇવે માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. આ કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સમયમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:36 pm

લીમખેડાના રાજકારણમાં મહિલાઓનો દબદબો:ઉપસરપંચ પદે મહિલાઓને નેતૃત્વની નવી આશા, મહિલા સભ્યોની સંખ્યાબળે બદલાયું રાજકીય સમીકરણ

લીમખેડા ગ્રામ પંચાયતની તાજેતરની ચૂંટણીએ ગામના રાજકીય પટલ પર નવો અધ્યાય ઉમેર્યો છે. 10 સભ્યોની પંચાયતમાં 6 મહિલાઓએ જીત મેળવીને ગ્રામ પંચાયતમાં મહિલા શક્તિનો દબદબો સ્થાપ્યો છે, જ્યારે 4 પુરુષ સભ્યો વિજેતા બન્યા છે. જોકે, આઝાદીના 78 વર્ષના ઈતિહાસમાં લીમખેડા ગ્રામ પંચાયતમાં સરપંચ કે ઉપસરપંચના પદે કોઈ મહિલાને સ્થાન મળ્યું નથી. આ વખતે, ઉપસરપંચના પદ માટે મહિલા સભ્યોની સક્રિયતાએ ગામના રાજકારણમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યંત રોમાંચક રહી, જેમાં સરપંચ પદ માટે દિનેશ ભરવાડ અને અર્જુનભાઈ ભરવાડ વચ્ચે ઉગ્ર સ્પર્ધા જોવા મળી. દિનેશ ભરવાડે 1255 મતો સાથે 232 મતોની આકર્ષક સરસાઈથી વિજય મેળવ્યો, જ્યારે હરીફ ઉમેદવાર અર્જુનભાઈ ભરવાડને 1023 મતો મળ્યા. આ જીતે દિનેશ ભરવાડને ગ્રામ પંચાયતના નેતૃત્વમાં મજબૂત સ્થાન અપાવ્યું છે. સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષણની નીતિ અમલમાં મૂકી છે, અને આ વખતે લીમખેડા ગ્રામ પંચાયતમાં 6 મહિલા સભ્યોની જીતે ઉપસરપંચના પદ માટે નવી આશા જગાવી છે. મહિલા સભ્યો ઉપસરપંચ પદ હાંસલ કરવા માટે અન્ય સભ્યોનું સમર્થન મેળવવા સક્રિય બન્યા છે. ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે લીમખેડાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉપસરપંચના પદે બિરાજી શકે છે. લીમખેડા ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી ઉપસરપંચનું પદ હંમેશાં પુરુષ સભ્યોને જ ફાળે ગયું છે. પરંતુ, 6 મહિલા સભ્યોની સંખ્યાબળ અને તેમની રાજકીય સક્રિયતાને જોતાં, આ વખતે પરંપરા તૂટવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે, આ નિર્ણયમાં નવનિયુક્ત સરપંચ દિનેશ ભરવાડની ભૂમિકા નિર્ણાયક રહેશે, કારણ કે ઉપસરપંચની પસંદગીમાં તેમનું સમર્થન મહત્વનું ગણાશે. ગામના રાજકીય વર્તુળોમાં આ બાબતે ઉત્કંઠા વધી રહી છે. આગામી દિવસોમાં લીમખેડા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણીનું પરિણામ ગામના રાજકીય ભવિષ્યને નવી દિશા આપશે. શું લીમખેડાની પરંપરા તૂટશે અને પ્રથમ વખત કોઈ મહિલા ઉપસરપંચ બનશે, કે પછી પરંપરા મુજબ પુરુષ સભ્યની પસંદગી થશે? આ પ્રશ્નનો જવાબ ચૂંટણીના પરિણામો જ આપશે. હાલ તો, દિનેશ ભરવાડની પસંદગી અને મહિલા સભ્યોની રાજકીય ચાલ પર ગામની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:25 pm

મહેસાણા-ખેરાલુમાં વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી રાધનપુર રોડ,ગોપીનાળું પાણીમાં ગરકાવ

મહેસાણા અને ખેરાલુ વિસ્તારમાં ધોધમાર.ખેરાલુમાં સવારથી બપોર સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં કુલ 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. દેસાઈ વાડા ડેરીથી જીઈબી રોડ પર એક ફૂટથી વધુ પાણી ભરાયા છે. ખેરાલુની સાથે તાલુકાના ડભાડ, ડાવોલ, ડાલીસણા, ચાણસોલ, ગઠામણ, અંબાવાડા અને હીરવાણી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. મહાનગરપાલિકાનો પ્રી-મોનસુન પ્લાન નિષ્ફળ જતાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. મહેસાણા-રાધનપુર રોડ પર આવેલું ગોપીનાળું પાણીમાં ગરકાવ થયું છે. નાળું બંધ થવાથી નોકરિયાત વર્ગ અને દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ વરસાદી માહોલ વચ્ચે પણ પોતાની ફરજ બજાવી રહી છે. પાણી ભરાવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:24 pm

ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી પર વિશેષ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધીનગર વિધાનસભા ખાતે પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ ખાતે સ્વ. મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ડૉ. મુખરજીએ ભારતમાં નવી વિચારધારાને જન્મ આપ્યો હતો. તેમના પિતા આશુતોષ મુખરજીના કડક શિસ્ત અને સંસ્કારોના કારણે તેમનામાં બાળપણથી જ ભારતીયતાના ઉચ્ચ મૂલ્યો હતા. ડૉ. મુખરજી એમ.એ., એલ.એલ.બી.ની પદવી મેળવ્યા બાદ કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે દેશમાં 'એક વિધાન-એક નિશાન-એક પ્રધાન'નો સિદ્ધાંત આપ્યો હતો. કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડ્યા સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:23 pm

મુન્દ્રાના રસ્તાઓની બિસ્માર હાલત:શહેરના મોટાભાગના માર્ગો પર ખાડા, વાહનચાલકો પરેશાન

કચ્છના મુન્દ્રા શહેરમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે. શહેરના મોટાભાગના માર્ગો પર પડેલા અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો અને નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. મુન્દ્રા ઝોનના રસ્તાઓની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વરસાદ બંધ થયા પછી પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોની માગણી છે કે જે પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે, તે પ્રમાણે મુન્દ્રા નગરપાલિકાએ સારા રસ્તાની સુવિધા પણ પૂરી પાડવી જોઈએ.શહેરના આસપાસના વિસ્તારોમાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે. મુન્દ્રા મેઈન રોડ પરના ખાડાઓએ વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. નગરજનોની માગ છે કે તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:22 pm

પાટણમાં 100 ગામના નવા સરપંચોનું સન્માન:ધારાસભ્ય કિરીટ પટેલે કર્યું અભિવાદન, સાંસદ ગેનીબેને આપ્યું ભ્રષ્ટાચારમુક્ત પંચાયત બનાવવાનું સૂચન

પાટણ વિધાનસભા મતવિસ્તારના 100 ગામોના નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલના આયોજનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. મહાનુભાવોના હસ્તે સરપંચો અને સભ્યોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરાયું. નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ પંચાયતની સત્તાઓ અને કાર્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સરપંચની ચૂંટણી સૌથી અઘરી છે. તેમણે 100 પંચાયતમાંથી 5 પંચાયતને ભ્રષ્ટાચારમુક્ત મોડેલ તરીકે વિકસાવવા સૂચન કર્યું. તેમણે કિરીટ પટેલની કાર્યક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેમના નામથી જ અધિકારીઓ કામ કરતા થઈ જાય છે. કાર્યક્રમમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ, પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર, રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને દશરથભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ડૉ. કિરીટ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવી ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહયોગ આપવા આહ્વાન કર્યું. ઉપસ્થિત અગ્રણીઓએ ગ્રામ્ય સ્તરે લોકશાહીને મજબૂત બનાવવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:20 pm

થાનગઢમાં કાર્બોસેલ ખનન પર ચોટીલા SDMની રેડ:7 કૂવાઓ શોધ્યા, સાથે ખાણમાં અડધો કિમી દૂર જતું મિની ટ્રેક્ટર પણ હાથ લાગ્યું, ₹74 લાખનો મુદ્દામાલ જપ્ત, 15 મજૂરોનું રેસ્ક્યૂ

થાનગઢ તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાં નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સરકારી સર્વે નંબરની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા 7 કૂવાઓ પકડી પાડ્યા છે. આ કૂવાઓમાંથી 4માં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલુ હતું. બે કૂવામાં પાણી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. દરોડા દરમિયાન 150 મેટ્રિક ટન કાર્બોસેલ, 6 ચરખી, 7 ટ્રેક્ટર, 5 જનરેટર, 39 સુપર પાવર 90 વિસ્ફોટક અને 180 મીટર ડીટોનેટર વાયર જપ્ત કરવામાં આવ્યા છે. કુલ 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ સ્થળ પરથી 15 પરપ્રાંતીય મજૂરોનું રેસ્ક્યૂ પણ કર્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા થાનગઢના વિરલભાઈ ઉર્ફે વિરમભાઇ જોધાભાઈ માલકિયા ભરવાડ અને રાજુભાઈ ભરવાડ સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલુ છે. મુદ્દામાલની વિગત (1) 150 મેટ્રિક ટન કાર્બોસેલ(2) 6 ચરખી(3) 7 ટ્રેક્ટર જે પૈકી એક મિની ટ્રેક્ટર(4) 5 જનરેટર(5) 39 નંગ સુપર પાવર 90 વિસ્ફોટક(6) 180 મીટર ડિટોનેટર વાયર

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:16 pm

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:મા-દીકરી ઉદયપુર ફરવા ગયા ને તસ્કરો ઘરમાંથી દાગીના સહિત 8.62 લાખનો મુદ્દામાલ ચોરી ગયા

નારણપુરામાં કોહીનુર સોસાયટીમાં રહેતા ઈરાબેન રૂપારેલીયાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમની દીકરી સાથે ત્રણ જુલાઈએ ઉદયપુર ફરવા ગયા હતા. તેઓ બે દિવસ ઉદયપુરમાં જ રોકાયા હતા ત્યારે તેમના નાના ભાઈનો તેમના પર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેમના ઘરનું લોક તૂટેલું છે અને ઘરમાં ચોરી થઈ છે. જેથી ઇરાબેન ઉદયપુરથી અમદાવાદ પરત આવ્યા હતા. તેઓ પરત આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું અને ઘરમાં પ્રવેશ કરતા જ દીકરીના બેડરૂમમાંથી સામાન વેરવિખેર પડેલો હતો. તેમના બેડરૂમમાં આવેલું લોકર ખુલ્લું હતું. તેમણે તપાસ કરી ત્યારે 6,00,000ના દાગીના, 2.52 લાખ રૂપિયાની રોકડ અને પાસપોર્ટ સહિત કુલ 8.62 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. થલતેજમાં શાકભાજીની આડમાં દારૂનો ધંધોવસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે થલતેજમાં આવેલી ભૂમિ વેજીટેબલ નામની દુકાનમાં તપાસ કરી હતી. ત્યારે દુકાનમાં શાકભાજીની આડમાં દારૂનો ધંધો ચાલી રહ્યો હતો. ભાડેથી દુકાન રાખીને કિશન કાથરોટીયા નામનો શખ્સ દુકાનમાંથી દારૂ વેચતો હતો. પોલીસે તપાસ કરતા શાકભાજીની અંદર છુપાવેલી દારૂની 171 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કિશન કાથરોટીયા, નિખિલ રાવ અને મુકેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે પ્રકાશ પરમાર નામનો આરોપી ફરાર છે. ત્રણ આરોપીની ધરપકડ કરીને 81,490 રૂપિયાનો દારૂ સહિત કુલ 1.84 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:13 pm

મહેસાણા નજીક મોટપ ગામે ટ્રેલર અકસ્માત:બે ટ્રેલર વચ્ચે અથડામણમાં બે લોકોના મોત, 16 કલાક બાદ પણ એક મૃતદેહ ફસાયેલો

મહેસાણા-મોઢેરા રોડ પર મોટપ ગામના પાટિયા પાસે રાત્રે 10 વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. RJ32 GC2030 નંબરનું ટ્રેલર ખામી સર્જાતા રોડની સાઈડમાં ઊભું હતું. મિકેનિક બેરિંગ ફિટ કરી રહ્યો હતો અને એક વ્યક્તિ ટોર્ચ પકડી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવેલા બીજા ટ્રેલરે ઊભેલા ટ્રેલરને ટક્કર મારતાં બે લોકો ટ્રેલર નીચે ફસાઈ ગયા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ક્રેન અને JCBની મદદથી ટ્રેલરને સાઈડમાં કરવામાં આવ્યા. રાત્રે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.ટ્રેલર ચાલક વહીદ ખાનના જણાવ્યા મુજબ, 16 કલાક વીતવા છતાં બીજા વ્યક્તિનો મૃતદેહ હજુ ટ્રેલર નીચે ફસાયેલો છે. તેમણે પોલીસ અને તંત્ર પાસે મદદ માગી છે. તેમણે જણાવ્યું કે અકસ્માત સમયે તેમનું ટ્રેલર રિપેરિંગ માટે ઊભું હતું. પાછળથી આવેલા ટ્રેલરે બેફામ રીતે ટક્કર મારતાં બે લોકોના મોત નિપજ્યા.વહીદ ખાને વધુમાં જણાવ્યું કે અકસ્માત બાદ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે તંત્ર પાસે મદદની માંગ કરી છે જેથી ફસાયેલો મૃતદેહ બહાર કાઢી શકાય.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 4:10 pm

તાજીયા ઠંડા કરવાની અનોખી પરંપરા:250 વર્ષથી બહુચરાજી મંદિરે પૂજારીના હાથે પંચદ્રવ્યનો છંટકાવ કરી તાજીયાને ઠંડા કરાય છે

કરબલાની શહીદીને યાદ કરતા મુસ્લિમ બિરાદરો તાજીયા સાથે મોહર્રમ પર્વની ઉજવણી કરે છે. ઇમામ હુસૈન અને 72 સાથીઓ સાથે શહીદીની યાદ માતમના આ પર્વમાં ફક્ત મુસ્લિમ બિરાદરો જ નહીં પણ માનવતાને માનનારા તમામ લોકો તાજિયાને સન્માન આપે છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં માત્ર વડોદરામાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. તાજીયા ઠંડા કરવાની 250 વર્ષની પરંપરા આજે પણ યથાવતશહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગાયકવાડી સમયના બહુચરાજી મંદિરે ઠંડા કરવાની પરંપરા છે. આ પરંપરા છેલ્લા 250 વર્ષોથી ચાલતી આવી છે અને એ મુજબ આજે નાગરવાડા વિસ્તારના તાજીયા બહુચરાજી મંદિરે પહોંચ્યા હતા અને પૂજારીએ તાજીયાને વિધિવિધાનપૂર્વક ઠંડા કર્યા હતા. ગાયકવાડી શાસનના સમયે મહોર્રમના પર્વે તાજીયાને સન્માન આપવા ખુદ રાજવી પરિવાર હકીમ સાહેબના ઘરે જતા અને હકીમ પરિવાર પણ રાજવી પરિવારના તાબા હેઠળના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિર ખાતે તાજીયાને ઠંડા કરવા જતાં હતાં. મહોર્રમ પર્વ દરમિયાન તાજીયા ઠંડા કરવાની 250 વર્ષની પરંપરા આજે પણ યથાવત છે. નાગરવાડાથી મોટી સંખ્યામાં કાળા રંગના વસ્ત્રો પહેરીને અનેક મુસ્લિમ યુવકો અને આગેવાનો આ તાજીયાને લઈને બહુચરાજી મંદિરે પહોંચ્યા હતા અને વર્ષોની પરંપરા મુજબ બહુચરાજી મંદિરના પૂજારીના હાથે સન્માન સાથે પંચદ્રવ્યનો છંટકાવ કરીને તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા. આતંકવાદ સામે લડતા તમામ કોમના લોકોની યાદમાં તાજીયા નીકળે છેકરબલામાં હજરત ઇમામ સહિત 72 શહીદોની યાદમાં મહોરમના તાજીયા કોમી એખલાસના પ્રતીક સમાન ગણાય છે અને જે લોકો માનવતામાં માને છે તે તાજીયાને સન્માન આપે છે કારણ કે, કરબલામાં શહીદ થનાર ફક્ત મુસ્લિમ નહીં પણ તમામ કોમના લોકો જે આતંકવાદ સામે લડતા શહીદ થયા હતા તેમની યાદમાં તાજીયા નીકળે છે. તાજીયા વડોદરામાં કોમી એખલાસની મિશાલ આપતા આ મહોરમના પર્વે બહુચરાજીના મંદિરે તાજીયાને ઠંડા કરવાનની પરંપરા હજી પણ યથાવત રહી છે. દેશ-વિદેશના એકમાત્ર તાજીયા જેને પૂજારી ઠંડા કરે છેબહુચરાજી મંદિર પૂજારી બિરેન રમેશચંદ્રએ જણાવ્યું હતું કે, આજે મહોર્રમના પર્વ નિમિત્તે નાગરવાડા ખાતે આવેલા ઇમામવાડાથી આજે તાજીયાને બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવ્યા છે અને અહીં પંચદ્રવ્યનો છંટકાવ કરીને તાજીયાને ઠંડા કરવામાં આવ્યા છે. અહીંથી આજવા રોડ ખાતે આવેલા ગુલીસ્તાન એપાર્ટમેન્ટ ખાતે દફનાવવામાં આવ્યા છે. આ પ્રણાલી છેલ્લા 250 વર્ષથી ચાલતી આવી છે. દેશ અને વિદશના એકમાત્ર તાજીયા હશે, જેને મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરવામાં આવે છે, ત્યારબાદ તેની દફનવિધિ કરવામાં આવે છે. ગાયકવાડ શાસનથી આ પરંપરા ચાલતી આવી છે. ઉતરાખંડના ધર્મગુરુ સૈયદ મેરાજમહેંદીએ જણાવ્યું હતું કે, આ જુલુસ મહોર્રમના દિવસે નીકળે છે. આખા વિશ્વમાં અમે જુલ્મની સામે એકતાનો પૈગામ આપવા માંગીએ છીએ. વડોદરામાં વર્ષોથી તાજીયા બહુચરાજી મંદિર ખાતે ઠંડા કરવાની અનોખી પરંપરા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:45 pm

વિદેશના સપના જોનાર વિજાપુરના હર્ષિતનો આપઘાત:ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટે 29 લાખ પડાવ્યાં; માતા ચા માટે જગાડવા ગઈ તો દિકરો વોમિટીંગ કરતો હતો

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર કબૂતર બાજીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિજાપુર પંથકના 19 વર્ષીય યુવકને ઓસ્ટ્રેલિયા મોકલી આપવાના બહાને એજન્ટ દ્વારા પરિવાર પાસેથી 29 લાખ રૂપિયા સેરવી લીધા હતા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ફાઇલનું કામ ન થતા યુવકે પૈસા પરત માંગતા એજન્ટ ધમકીઓ આપી હતી. જેમાં યુવકને લાગી આવતા તેણે 4 જુલાઈના રોજ દવા પી આપઘાત કરી મોત વ્હાલું કર્યું હતું. સમગ્ર ઘટનામાં આરોપી એજન્ટ સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ટુકડે ટુકડે કુલ 29 લાખ 40 હજાર આપ્યામહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના રણાસણ ગામે રહેતા 19 વર્ષીય હર્ષિત પટેલ નામના યુવક સાથે મોતીપુરા ગામના ધાર્મિક પટેલ સાથે મુલાકાત થઈ હતી.જ્યાં ધાર્મિકે હર્ષિત ને છ માસમાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ યુવકે ઓસ્ટ્રેલિયાની ફાઇલ ધાર્મિકને આપી હતી. જ્યાં ટુકડે ટુકડે કુલ 29 લાખ 40 હજાર ફાઇલ માટે આપ્યા હતા.એક વર્ષ વીત્યા બાદ ફાઇલનું કામ ન થતા હર્ષિતે નાણાં પાછા માંગતા ધાર્મિક બહાના બાજી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ધાર્મિકે હર્ષિતને ધમકીઓ આપી હતી કે, તારાથી થાય એમ કરી લેજે પૈસા નહિ મળે આમ કહેતા હર્ષિતને લાગી આવ્યું હતું. માતા ચા પીવા જગાડવા ગઈ ત્યારે હર્ષિત વોમીટીંગ કરતો હતો4 જુલાઈએ હર્ષિતએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બપોરે તેની માતા ચા પીવા જગાડવા ગઈએ દરમિયાન તેણે વોમીટીંગ કરતા હર્ષિતે દવા પીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે પરિવારના સભ્યો સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન હર્ષિતનું મોત નીપજ્યું હતું. ભાણાને 6 માસ માટે ઓસ્ટ્રેલિયા મોકલી આપવાની વાત હતી: નાનામૃતકના નાનાએ જણાવ્યું કે, ધાર્મિક નામના એજન્ટે અમારા ભાણાને 6 માસ માટે ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું. ફાઇલ અપયાના સવા વર્ષ બાદ શંકા ગઈ હતી. કામ ન થતા અમે પૈસા પરત માગ્યા હતા. 29 લાખ 40 હજારની રકમ આરોપી બથાઈ પડ્યો હતો. આરોપી ધર્મિકે 6 માસ સુધી અમને ગોળગોળ ફેરવ્યા છે. મારા ભાણાને ધમકી આપી હતી કે, તારાથી જે થાય એ કરી લે.આ બધું લાગી આવતા તેણે આપઘાત કર્યો છે. ભાઈએ સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી: બહેન મૃતકની મોટી બહેન મેશ્વા પટેલે જણાવ્યું કે, 2024માં મોતીપુરા ગામના ધાર્મિક નામના વ્યક્તિ પાસે મારા ભાઈને વિદેશ જવાનું હોવાથી તેની પાસે ઓસ્ટ્રેલિયાની ફાઇલ મૂકી હતી. વિદેશ જવા માટે જેમ ધર્મીકે પૈસા માગ્યા એમ અમે આપતા રહ્યા 29 લાખથી વધુની રકમ અમે ફાઇલ માટે આપી હતી. થોડા દિવસ બાદ કોઈ પ્રોસેસ ના થતા અમે પૂછપરછ કરતા ધાર્મિક બહાના બાજી કરવા લાગ્યો. એના ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તે યોગ્ય વ્યક્તિ નથી. બાદમાં અમે પૈસા પરત લેવા દબાણ કરતા તેણે મારા ભાઈને ધમકી આપી હતી કે, તમારા પૈસા નહિ મળે થાય એ કરી લેજો ત્યારબાદ મારો ભાઈને આ બધી બાબતો લાગી આવતા તેણે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી.અમારી માગ છે કે તમામ આરોપીને સજા મળે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:35 pm

રાજકોટ-જેતપુર હાઈ-વે પર રોડ નહીં તો ટોલ નહીં:પ્રચંડ જનઆંદોલન માટે કોંગ્રેસ સજ્જ, આવતીકાલે રાજકોટ કલેક્ટર કચેરીનાં ઘેરાવ કાર્યક્રમમાં જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અપીલ

રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા માટે ત્રાસરૂપ બનેલા રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે (NH-27) પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદેસર ટોલ વસૂલાત, બિસ્માર રસ્તાઓ અને કલાકોના ટ્રાફિકજામના મુદ્દે હવે હાઈ-વે હક્ક આંદોલન સમિતિએ આરપારની લડાઈનું રણશિંગુ ફૂંક્યું છે. આવતીકાલે 8 જુલાઈ, 2025ના રોજ, રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભવ્ય ઘેરાવ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાત કોંગ્રેસના લડાયક નેતાઓ જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ અને પાલ આંબલીયા સહિતનાં નેતાઓ જોડાશે. MLA જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો જાહેર કરીને આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે, આ લડાઈ હવે ફક્ત રસ્તા પૂરતી સીમિત નથી, પરંતુ જનતાના હક્કની લડાઈ બની ગઈ છે. રોડ નહીં તો ટોલ નહીંની આક્રમક રજૂઆતરોડ નહીં તો ટોલ નહીં! આ આંદોલન અંગે માહિતી આપતા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મીડિયાના મિત્રો આ પ્રશ્નને ખૂબ તાકાતથી ઉપાડી રહ્યા છે. તેમણે જાતે હાઈ-વેની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જે દૃશ્યો મેં જોયા છે, આપણને લાગે કે મ્યુનિસિપલ તંત્રની, મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને તાળું મારી દેવું જોઈએ. આટલું ખાડે ગયેલું તંત્ર કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. મીડિયા સતત મુદ્દો ઉપાડતું હોય, વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી પ્રશ્નો ઉઠાવતી હોય અને રાજકોટના જાગૃત નાગરિકો વીડિયો બનાવીને મીડિયાને ફોરવર્ડ કરતા હોય છતાં તંત્રના પેટનું પાણી ન હલે, તે કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં. તેમનો સ્પષ્ટ નારો છે: રોડ નહીં તો ટોલ નહીં! આંદોલન આવનારા દિવસોમાં પણ ઉગ્ર બની શકેમેવાણીએ વધુમાં જણાવ્યું રાજકોટ-જેતપુર હાઈ-વેના મામલે સરકારે રાજકોટની જનતાને રંજાડી છે, આ એક પ્રકારનું એમનું અપમાન છે. જો તેઓ રાજકોટના નાગરિકોની કદર કરતા હોય અને ટેક્સપેયરનું સન્માન કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે અને રાજકોટ તંત્રે તાબડતોબ સફાળા જાગીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ચીમકી આપી કે, જો નહીં કરે તો 8 તારીખે હું રાજકોટ આવી રહ્યો છું અને આંદોલન આવનારા દિવસોમાં એના પછી પણ ઉગ્ર બની શકે છે. જનતાને આંદોલનમાં જોડાવા હાકલ​​​​​​​જીજ્ઞેશ મેવાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા કહ્યું કે, જેમ અગ્નિકાંડના પીડિતો માટે આપણે બધા જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષો બધું મૂકીને એક નાગરિક તરીકે, એક રાજકોટવાસી તરીકે લડ્યા હતા, તે જ પ્રમાણે રોડ નહીં તો ટોલ નહીં આંદોલનમાં પણ સૌએ સાથે મળીને જોડાવું પડશે. જો આમ કરીશું તો જ હવે આપણને કંઈ પરિણામ મળશે. તો વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવી મારી અપીલ છે. કેન્દ્રીય મંત્રી માંડવીયાનું નિવેદન અને કોંગ્રેસના આક્ષેપોતાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ વખત નેશનલ હાઈ-વેની બિસ્માર હાલત અંગે નિવેદન આપ્યું હતું. જેને લઈને કોંગ્રેસે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રાજકીય નિષ્ક્રિયતાના કારણે 1 વર્ષ સુધી તેમના પોતાના લોકસભા વિસ્તારમાં પણ લોકો હાલાકી ભોગવતા રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસના આક્રમક આંદોલન બાદ જ તંત્ર અને કેન્દ્ર સરકાર જાગૃત થઈ છે. હાઈ-વે હક્ક આંદોલન સમિતિ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, આ લડત રસ્તાના હક્ક માટે છે અને જ્યાં સુધી સારા રસ્તા નહીં મળે ત્યાં સુધી ટોલના નામે લૂંટ ચાલવા દેવામાં આવશે નહીં. ટોલ ઘટાડાનો નિર્ણય અધૂરી રાહત, પૂર્ણ મુક્તિની માંગ​​​​​​​રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના સતત દબાણ - લોકચળવળ પછી કેન્દ્ર સરકારે દયનીય રોડ પરની ટોલ વસૂલાત મુદ્દે પગલાં લઈને ટોલની 50% વસૂલાત ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. પરંતુ લોકો હજી સંપૂર્ણ રાહત માંગી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના નેતાઓ દ્વારા NHAIની કચેરીએ હલ્લાબોલનો કાર્યક્રમ કરી પ્રોજેક્ટ ડાયરેક્ટરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને તેઓએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી લોકોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. આંદોલનની મુખ્ય માંગણીઓ: ઉલ્લેખનીય છે કે, આ લડાઈ રાજકોટની જનતાના સ્વાભિમાનની છે, અને કોંગ્રેસના નેતાઓ આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આવતીકાલે પણ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો પ્રથમ કાર્યક્રમ છે. આ પછી પણ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી અત્યારથી જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા અપાઈ છે ત્યારે શું સરકાર જનતાની વાત સાંભળશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:26 pm

મોરબીમાં મહેન્દ્રનગર પાસે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ:30 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ ટીંબાવાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર પાસે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે એક અજાણ્યા યુવાનનું મોત થયું છે. મહેન્દ્રનગર ગામના પટેલનગરમાં રહેતા જગદીશભાઈ બેચરભાઈ કાવરએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટના સ્થળેથી મળેલા અંદાજે 30 વર્ષના યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. બીજા અલગ બનાવમાં, વાંકાનેરના જાલી ગામના જગદીશભાઈ મનસુખભાઈ અંદરપા (ઉ.વ. 20)એ એક વર્ષ જૂની બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. ગત વર્ષે 12 જુલાઈના રોજ ભેરડા ગામ નજીક પાવર હાઉસ પાસે કનૈયા હોટલ નજીક પાર્ક કરેલું તેમનું બાઈક (GJ-36-K-4399) કોઈ અજાણ્યા શખ્સે ચોરી કર્યું હતું. રૂ. 40,000ની કિંમતના બાઈકની ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:25 pm

સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો:'આપ'ના કાર્યકરોએ ભાજપના ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢી; કહ્યું-'ટ્ર્સ્ટ મફત સેવા આપે છે તો કોન્ટ્રાક્ટર સિસ્ટમ કેમ?'

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 7 જુલાઈથી શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી ત્રણ ખાનગી ટ્રસ્ટોને સોંપવાના નિર્ણય સામે સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને વધુ વેગ આપતા, આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતીકાત્મક 'અંતિમયાત્રા' કાઢવામાં આવી હતી અને લક્ષ્મીપુરા સ્મશાનમાં 'ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર' કરવામાં આવ્યા હતા. આ અંતિમયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. સ્મશાનોના ખાનગીકરણ પાછળનો વિવાદઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી અત્યાર સુધી કોર્પોરેશન અને જલારામ ટ્રસ્ટ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું. જલારામ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ તો પાલિકા પાસેથી એક પણ રૂપિયો લીધા વિના આ સેવા પૂરી પાડી રહી હતી. તેમ છતાં, સ્મશાનોનું વધુ સારી રીતે સંચાલન અને નિભાવણી થાય તેવા દાવા સાથે કોર્પોરેશન દ્વારા ત્રણ ખાનગી ટ્રસ્ટોને 7 જુલાઈથી આ કામગીરી સોંપવામાં આવી રહી છે. આ નિર્ણય પાછળ કોર્પોરેશનને વાર્ષિક રૂપિયા 10 કરોડ જેટલો ખર્ચ થવાનો છે. આ જ કારણે વડોદરાના સામાજિક કાર્યકરો તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. AAP દ્વારા 'ભ્રષ્ટાચારની અંતિમયાત્રા'આજે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ વિરેન રામી, મનીષ પરમાર સહિતના કાર્યકરો દ્વારા લક્ષ્મીપુરા ગામે આવેલા ગોરવા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી ભાજપ દ્વારા માઝા મુકવામાં આવી રહેલા ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. લક્ષ્મીપુરા-ગોરવા રોડ ઉપરથી નીકળેલી આ અંતિમયાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. 'શ્રી રામ જયરામ જય જય રામ' ની કરુણ ધૂનો સાથે કાઢવામાં આવેલી આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ડાઘુઓરૂપી આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. 'સ્મશાનોના ખાનગીકરણનો સખત વિરોધ કરીએ છીએ'આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, 'ભાજપે પાણી, રસ્તા, ડ્રેનેજ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર કરવામાં માઝા મૂકી છે. જેમાં હવે સ્મશાનોને પણ બાકાત રાખ્યા નથી. સ્મશાનોના ખાનગીકરણનો અમે સખત વિરોધ કરીએ છીએ. વડોદરાના લક્ષ્મીપુરા સ્મશાનમાં વર્ષોથી લાકડાની સેવા સ્વ.અજીતભાઈ પરમાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ સ્મશાનોને 7 તારીખ સુધી ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 7 તારીખ પછી જે પણ વ્યક્તિ લક્ષ્મીપુરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જશે તેના ખર્ચ પેટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 7,000 ચૂકવવા પડશે. આ ખૂબ જ ખોટું કહેવાય. જ્યારે ટ્રસ્ટ દ્વારા મફતમાં સેવા આપે છે તો પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમની જરૂર શું છે?'

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:17 pm

બનાસકાંઠાના વીજ કરંટ ખેડૂત પરિવારને ભરખી ગયો:વાવના ધરાધરા ગામમાં બોરવેલ ચાલુ કરવા જતાં દીકરાને શોક લાગ્યો, માતા-પિતા બચાવવા જતાં એ પણ ભોગ બન્યા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. વહેલી સવારે ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની વિગતો મુજબ, પુત્ર ખેતરની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો. મોટર ચાલુ કરતી વખતે તેને વીજ કરંટ લાગ્યો હતો. તે સમયે ખેતરની વાડીમાં હાજર તેના માતા-પિતાએ પુત્રને કરંટમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા અને ત્રણેયના મોત નિપજ્યા હતા. ત્રણેયના મૃતદેહ પીએમ માટે ખસેડાયાઘટનાની જાણ થતાં પરિવારજનો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહોને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. વાવ પોલીસ મથકના પીઆઈએ ઘટનાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પુત્રને બચાવવા જતાં માતા-પિતાનું પણ કરંટથી મોતઆ અંગે વાવ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, ખેતરની ઓરડીમાં પાણીની મોટર આવે છે, જેની લાઈટ ચાલુ કરવા જતાં પુત્રને કરંટ લાગ્યો હતો. જોકે ખેતરની વાડીએ માતા-પિતા પણ હાજર હતા, પુત્રને કરંટ લાગતા જોઈ માતા અને પિતા બંને પુત્રને કરંટમાંથી મુક્ત કરાવવા જતાં બંને કરંટની ઝપેટમાં આવતા એમ ત્રણેય લોકોના મોત થયા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:14 pm

વડોદરા સમાચાર:90 પુરૂષ ઉમેદવારને સંરક્ષણ ભરતી પૂર્વેની 30 દિવસની પરીક્ષાલક્ષી નિ:શુલ્ક નિવાસી તાલીમ અપાશે, 15મી સુધી અરજી કરી શકાશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેળની રોજગાર અને તાલીમ નિયામક ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, વડોદરા દ્વારા દર વર્ષે સંરક્ષણ ક્ષેત્રેની યોજાતી આર્મી, નેવી, એરફોર્સ, અગ્નીવીર, પોલીસ, ફોરેસ્ટ તથા સિક્યુરિટી ગાર્ડની ભરતીમાં ઉમેદવારો લેખીત અને ફિઝિકલ પરીક્ષામા સારો દેખાવ કરે તે આશયથી 90 ઉમેદવારો તાલીમ આપે છે, જેમાં 30 અનુસુચિત જાતીના ઉમેદવારોને તાલીમ આપવાની હોય છે. તજજ્ઞ વકતા અને એક્સ સર્વીસમેન દ્વારા નિ:શુલ્ક 240 કલાક (30 દિવસ)ની નિવાસી તાલીમ આપવામા આવે છે. આ વર્ષે પણ અગ્નીવીર, આર્મી, નેવી, એરફોર્સ એસએસસી જીડી, તેમજ પોલીસ અને ફોરેસ્ટ જેવી ભરતીમા જવા માંગતા વડોદરાના ઉમેદવારો માટે સંભવીત જુલાઈ-2025માં તાલીમનુ આયોજન થનાર છે. આ તાલીમમાં નિવૃત સૈનિક જવાન/એક્સ સર્વીસમેન દ્વારા રનિંગ, લાંબો કુદકો, પુલ અપ્સ, લોંગ જમ્પ જેવી શારીરિક તાલીમ અને તજજ્ઞ વકતા દ્વારા ગણીત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા લેખીત થીયરી વિષય પર 240 કલાક (30 દિવસ)ની રેસીડેન્સીયલ તાલીમ આપવામા આવનાર છે. આ તાલીમમાં ધો. 10-12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ ધરાવતા અને 17.5થી 24 વર્ષની ઉંમર ધરાવતા અપરણીત પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. આ તાલીમમાં ઉમેદવારોને રહેવાની, જમવાની, તથા સાહીત્ય સુવિધા સાથે 80% હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી મારફતે તેમના બેંક ખાતામાં દૈનિક 100 લેખે વધુમા વધુ રૂ.3000 સુધીનુ સ્ટાઈપન્ડ પણ ચુકવવામા આવશે. આ નિવાસી તાલીમમાં જોડાવા માંગતા અપરણીત પુરુષ ઉમેદવારોને 15.7.2025 સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, પહેલો માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે નિયત નમુનામાં રૂબરૂ અરજી કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:09 pm

બાપુનગર પાસપોર્ટ સેવા કેન્દ્રનો આવતીકાલથી પ્રારંભ થશે:મીઠાખળી પાસપોર્ટ સેવા કેન્દ્રની એપોઈન્મેન્ટ મેળવનાર અરજદારે બાપુનગર જવાનું રહેશે, આજે 20 અરજદારને બોલાવી ટ્રાયલ કરાયું

અમદાવાદ શહેરમાં મીઠાખળી ખાતેનું પાસપોર્ટ સેવા કેન્દ્ર હવે બંધ કરી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ, આવતીકાલ એટલે કે 7 જુલાઈ, 2025થી, નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગરમાં શ્યામ શિખર ચાર રસ્તા પાસે આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં કાર્યરત થશે. આજે, આ નવા કેન્દ્રમાં ટ્રાયલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લગભગ 20 જેટલા અરજદારોને બોલાવીને પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આવતીકાલથી, બાપુનગર સ્થિત આ નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત થશે. મીઠાખળી પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે પાર્કિંગ અને અન્ય કેટલીક વ્યવહારિક સમસ્યાઓ હતી, જેને કારણે અરજદારોને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાઓના નિરાકરણ માટે જ પાસપોર્ટ સેવા કેન્દ્રને બાપુનગરમાં આવેલા વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે, જ્યાં પૂરતી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. જે નાગરિકોએ મીઠાખળી પાસપોર્ટ સેવા કેન્દ્ર માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી, તેમને હવે આવતીકાલથી પોતાના તમામ દસ્તાવેજો સાથે બાપુનગર, શ્યામ શિખર ચાર રસ્તા પાસે આવેલા વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સમાં જવું પડશે. તેમની પાસપોર્ટ સંબંધિત તમામ પ્રક્રિયાઓ ત્યાં જ હાથ ધરવામાં આવશે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે આ નવું કેન્દ્ર ખાસ રાહતરૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:07 pm

ગોધરામાં અનોખી પહેલ:મોબાઈલ છોડી પુસ્તક વાંચવાનું અભિયાન, દર મહિને પ્રથમ રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન

ગોધરા શહેરના બામરોલી રોડ પર છેલ્લા ત્રણ મહિનાથી એક નવતર સાહિત્યિક પ્રયોગ શરૂ થયો છે. આ પહેલ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. પુસ્તક પરબમાં લોકો એક કલાક માટે મોબાઈલનો ઉપયોગ બંધ કરી પુસ્તક વાંચન કરે છે. આ પરબમાં સાહિત્ય, જીવનમૂલ્યો, આત્મકથાઓ અને અન્ય વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે. દરેક વ્યક્તિને તેમની પસંદગીના બે પુસ્તકો વાંચવા માટે વિનામૂલ્યે આપવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. નિસર્ગ શાહ, પ્રિન્સિપાલ શ્રી દિનેશભાઈ પટેલ અને દીપમાલાબહેન સહિત અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓએ પુસ્તક પરબનો આનંદ માણ્યો અને પોતાની રુચિ મુજબના પુસ્તકો પસંદ કર્યા. આ પહેલ માત્ર વાંચન પ્રવૃત્તિ જ નહીં, પરંતુ સમાજને જ્ઞાન અને સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ બની રહી છે. વાંચન દ્વારા જ્ઞાનનો દીવો પ્રગટાવવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 3:01 pm

હવે અગારિયા પણ સહકારક્ષેત્રનો હિસ્સો:કચ્છ જિલ્લા મીઠા સહકારી મંડળીની રચના કરાઈ, સહકારિતા દિવસની ઉજવણીમાં અમિત શાહે જાહેરાત કરી

કેન્દ્રીય સહકારિતા મંત્રાલય એ ભારત સરકાર હેઠળનું એક મંત્રાલય છે. જેની રચના જુલાઈ 2021માં કરવામાં આવી હતી. આ મંત્રાલય દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાનૂની અને નીતિ માળખું પૂરું પાડે છે. મંત્રાલયની રચનાની જાહેરાત 6 જુલાઈ 2021ના ​​રોજ કરવામાં આવી હતી. આજે આ સહકારિતા મંત્રાલયને 4 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આજે આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભારત સરકારના સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં તેમણે કચ્છના મીઠા ઉદ્યોગને પણ સહકારિતાનો હિસ્સો બનાવ્યો હતો. કચ્છ જિલ્લા મીઠા સહકારી મંડળીની રચના કરાઈ હોવાની જાણ કરી હતી. સરદાર પટેલના પરિવારને યાદ કર્યોકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અમે કરમસદ-આણંદની ભૂમિ પર આવ્યું છું. આ ભૂમિ સરદાર પટેલની કર્મભૂમિ હતી. આ ભૂમિ મણીબેન પટેલનું જન્મસ્થળ પણ હતું. જેમના નામે ગુજરાત વિધાનસભાની રચના થઈ હતી, તે વિઠ્ઠલભાઈ પટેલનું જન્મસ્થળ પણ હતું. અને ત્રિભુવન કાકા, જેમણે ડેરી ચળવળ શરૂ કરી હતી, તેમનું જન્મસ્થળ પણ કર્મભૂમિ હતું. આ કરમસદ આણંદ છે. આજે 10 હજારથી વધુ ખેડૂત ભાઈ-બહેનો અહીં આવ્યા છે. ઘણી બધી બાબતો એકસાથે બની છે. આ કાર્યક્રમ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. હું બધું કહીશ નહીં, પણ આજે સહકાર મંત્રાલયના ચાર વર્ષ પૂરા થવાનો પ્રસંગ છે. આજે NDDBના 60 વર્ષ પૂરા થવાનો પ્રસંગ છે. અને આજે સરદાર પટેલની 150મી વર્ષગાંઠ પણ છે. સહકાર તો વૈદિક કાળથી ચાલી રહ્યો છે- શાહશાહે વધુમાં કહ્યું હતું કે, આપણા દેશમાં, વૈદિક કાળથી સહકાર ચાલુ રહ્યો છે. પંચાયત, ચોપાલ, સમિતિ, ભંડારા, લંગર, ચૂલો, સામુદાયિક ભોજન, ઘણી રીતે, સાથે બેસીને, વિચારીને, ખાઈને અને કામ કરીને, આ આપણા સમાજની પરંપરા રહી છે. આ દિવસે આપણા નેતા નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલીવાર એક અલગ સહકારી મંત્રાલય બનાવવાનો નિર્ણય લીધો અને નરેન્દ્ર મોદીએ લગભગ 31 કરોડ લોકો સાથે જોડાયેલા 840000થી વધુ સમિતિઓમાં નવો પ્રાણ ફૂંકવાનું કામ કર્યું. દૂધથી લઈને બેંકિંગ સુધી, ખાંડની મિલોથી લઈને માર્કેટિંગ સુધી અને ધિરાણથી લઈને ડિજિટલ ચુકવણી સુધી, આજે સરકારી સમિતિઓ દેશના આર્થિક વિકાસમાં કાર્યક્ષમતા સાથે યોગદાન આપી રહ્યા છે. અને આજે સહકારી મંત્રાલયના ચાર વર્ષમાં, મોદીના નેતૃત્વમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે. હું તેના વિશે વિગતોમાં જવા માંગતો નથી, પરંતુ આ બધી પહેલ પાંચ P પર આધારિત છે. પાંચ P પર આધારિત પહેલપહેલો P પીપલથી છે. તેનો સંપૂર્ણ લાભ દેશના લોકો લેશે. બીજો P પાકથી પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવી રહ્યા છીએ. ત્રીજો P પ્લેટફોર્મ જેનાથી ડિજિટલ અને નેશનલ પ્લેટફોર્મથી દરેક પ્રકારે સહકારી કામગીરીને પૂર્ણ કરવાનું કામ અમે કર્યુ છે. ચોથું પી પોલિસીમાં એક જ ઉણપ રહી હતી. મીઠાના ઉત્પાદનનો એક જ અભાવ હતો. આજે આપણા હુબલ ભાઈએ તે પણ કરી દીધું છે. હવે મીઠાનું ઉત્પાદનથી નફો તે વ્યક્તિને જશે જે ગુજરાતમાં મીઠું બનાવી રહ્યો છે. આ એક ખૂબ મોટી ક્રાંતિની શરૂઆત છે અને પાંચમું પી પ્રોસ્પેરિટી (સમૃદ્ધિ) છે. અમૂલની ભૂમિ પર ઉભા રહીને, હું કહી રહ્યો છું કે, ગુજરાતમાં 36 લાખ બહેનો અને દેશમાં 20 લાખ બહેનો દૂધ ઉત્પાદન વધારવા માટે દરરોજ સખત મહેનત કરે છે. આ વર્ષનું બેલેન્સશીટમાં ટર્નઓવર 80000 કરોડ છે. આગામી વર્ષની બેલેન્સશીટમાં 1 લાખ કરોડ હશે. વિવિધ પ્લાન્ટનું વિસ્તરણત્રિભુવન દાસ કોમ્પ્લેક્સ મોગરમાં ચોકલેટ પ્લાન્ટનો વિસ્તાર. ખાત્રજમાં ડો. વર્ગીસ કુરિયન ચીઝ પ્લાન્ટનું વિસ્તરણ. સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડની સ્થાપના પણ કરવામાં આવી છે. સંગઠિત બજાર ઇનપુટ સેવાઓ, વાજબી ખરીદી, ભાવ તફાવત અને ડેરી ક્ષેત્રમાં ગોળ અર્થતંત્રનું ચક્ર પૂર્ણ કરવાનું કાર્ય, આ સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન દ્વારા કરવામાં આવશે, મને ખાતરી છે કે અમૂલની તર્જ પર, તે આ દેશના ખેડૂતોના હિત માટે એક કાર્ય કરશે, તમે તેનો ઉપયોગ કરો, આમાં આપણે આજે આત્મનિર્ભર બન્યા. NCDFIનું નવું કાર્યાલય પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, NDDBનું નવું ભવન પણ આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને જેમ મેં કહ્યું, કચ્છ જિલ્લા મીઠા સહકારી મંડળીએ એક મોડેલ સમિતિ શરૂ કરી છે, જે આવનારા દિવસોમાં દરેક મીઠા ઉત્પાદક કામદાર માટે અમૂલ જેવી મજબૂત સહકારી ચળવળ બનશે. એક નવું અમૂલ બનાવવાનો પ્રોજેક્ટ શાહે ખાતરી સાથે કહ્યું હતું કે, આજે અમૂલ FMCG બ્રાન્ડ, આ લાગણી, વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડ બની છે અને અમે સહકારી વર્ષમાં સહકારની આ સંસ્કૃતિને વિસ્તૃત કરવાનો સંકલ્પ કર્યો છે. ગઈકાલે જ, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલના નામે કરવામાં આવી હતી અને આજે લગભગ 10 પ્રોજેક્ટ્સ છે, આવા મોટા પ્રોજેક્ટ્સ, જે પોતે જ એક નવું અમૂલ બનાવવાનો પ્રોજેક્ટ છે, આવા મોટા પ્રોજેક્ટ્સ. મિત્રો, આ પણ આજે મોદીજીના નેતૃત્વમાં શરૂ થયું છે, 29 પેક સહકારી યુનિવર્સિટીઓ તેમના પોતાના ડેટાબેઝ સાથે અને ત્રણ રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓ એકસાથે બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 2:56 pm

'7 બાળકના મોત ચાંદીપુરા વાઈરસથી નથી થયા':વડોદરાની SSG હોસ્પિટલમાં કરાયેલા રિપોર્ટ નેગેટિવ આવ્યા, મગજના તાવથી મોત થયા હોવાનું અનુમાન

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સેન્ડફ્લાય માખીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે. 20 જુનથી અત્યાર 5 જુલાઈ સુધીમાં સેન્ડફ્લાય માખીથી ફેલાતા શંકાસ્પદ વાઇરસના કારણે 8 બાળકના વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયાં છે. આ તમામ બાળકોના ચાંદીપુરા વાઈઇરસના કારણે મોત થયાની શંકાએ લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આજે (6 જુલાઈ, 2025)એ 8 પૈકી 7 બાળકના ચાંદીપુરા વાઈરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો બીજી તરફ આ બાળકોના મોત મગજના તાવથી થયાની શક્યતા સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, હજુ 2 બાળક PICમાં સારવાર હેઠળ છે, જ્યારે એકની તબિયત સુધારા પર આવતા જનરલ હોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો....મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસે ફરી માથું ઊંચક્યું: હજુ એક બાળકનો રિપોર્ટ બાકી: ડો. ઓમપ્રકાશ શુક્લસયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું હતું કે, પંચમહાલ અને દાહોદ જિલ્લાના શંકાસ્પદ ‘સેન્ડફ્લાય’ માખીખી ફેલાતા વાઈરસનો ભોગ બનેલા 15 જેટલા બાળકોને સારવાર માટે પિડીયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાળકો પૈકી 8 બાળકોના મોત નીપજ્યા છે. આ તમામ 15 બાળકના લોહીના નમુના તપાસ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 7 બાળકોનો ચાંદીપુરમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય બાળકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. વધુમાં ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું કે, બાળકોના મોત ચાદીપુરાથી નહીં પરંતુ, મગજના તાવથી મોત નીપજ્યાં હોવાનું અનુમાન છે. આમ છતાં બાળકોના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. 6 માસ અને 8 વર્ષનું બાળક PICમાં વેન્ટીલેટર પર: ડો. આશ્રૃતિ કાચાસયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના નોડલ ઓફિસર ડો. આશ્રૃતિ કાચાએ જણાવ્યું હતું કે, હાલમાં 3 બાળકને સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના PICમાં સારવાર આપવામાં આવી રહી છે. 3 બાળક પૈકી 6 માસ અને 8 વર્ષનું બાળક આઈસીયુમાં વેન્ટીલેટર પર છે. જ્યારે 7 વર્ષના બાળકની તબિયતમાં સુધારો થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 2:48 pm

સુરત જિલ્લા ગ્રામ્ય ક્રાઇમ ન્યૂઝ:માંગરોળના તરસાડી અને વ્યારાના કટાસવાણ ગામની બે મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માંગરોળના તરસાડી ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. અહીંના દાદરી ફળિયામાં રહેતી 19 વર્ષીય તેજલ કિરણભાઈ વસાવાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેજલ ઘરકામ કરતી હતી અને ઘરમાં એકલી હતી ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. યુવતીએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. વ્યારાના કટાસવાણ ગામે મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંવ્યારાના કટાસવાણ ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષીય મહિલાએ માનસિક અસ્થિરતાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વ્યારા તાલુકાના કટાસવાણ ગામના નિશાળ ફળિયામાં રહેતી 38 વર્ષીય નિર્મળાબેન વિપુલભાઈ ગામીતે પોતાના ઘરના છેલ્લા રૂમમાં સિલીંગ પંખા સાથે ઓઢણી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. નિર્મળાબેન છેલ્લા ચાર વર્ષથી માનસિક રીતે અસ્થિર હતા. ઘરમા ગમે તેવું વર્તન કરતા હતા. પરિવારજનો દેશી દવા અને હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા. ઘટનાના સમયે તેઓ ઘરમાં એકલા હતા. ત્યારે સિલીંગ પંખા સાથે ઓઢણીનો એક છેડો બાંધી બીજો છેડો ગળામાં બાંધી ફાંસો ખાધો હતો. પરિવારજનો ઘરમાં આવ્યા ત્યારે તેમને નીચે ઉતારી તાત્કાલિક ખાનગી વાહનમાં વ્યારા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 2:48 pm

બોટાદમાં સાયબર ફ્રોડના 61 કેસમાં પોલીસની કામગીરી:28.47 લાખના ફ્રોડમાંથી 19.44 લાખ રૂપિયા પરત અપાવ્યા, પીડિતોએ માન્યો આભાર

બોટાદ જિલ્લામાં જૂન મહિનામાં સાયબર ફ્રોડના 61 કેસ નોંધાયા હતા. આ કેસોમાં કુલ 28.47 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને 19.44 લાખ રૂપિયા પીડિતોને પરત અપાવવામાં સફળતા મેળવી છે. બોટાદ શહેર, બરવાળા, ગઢડા, ઢસા અને પાળીયાદ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે વિવિધ પ્રકારની છેતરપિંડી થઈ હતી. આ છેતરપિંડીમાં એટીએમ ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ અને આર્મીના નામે થયેલા ફ્રોડનો સમાવેશ થાય છે. પીડિતોએ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમના PI જે.જી. ચૌધરી અને તેમની ટીમે તમામ કેસોની તપાસ હાથ ધરી હતી. પોલીસની સક્રિય કામગીરીના કારણે મોટાભાગની રકમ પરત મેળવી શકાઈ છે. પોતાના ગુમાવેલા નાણાં પરત મેળવનારા પીડિતોએ સાયબર ક્રાઈમ પોલીસની કામગીરીને બિરદાવી છે. પોલીસે લોકોને સાયબર ફ્રોડથી સાવધ રહેવા અને લલચામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 2:41 pm

ચૈતર વસાવાની ધરપકડ ભાજપનાં ઇશારે થઈ: AAP:2026 માં તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આદિવાસીઓ, દલિતો, ક્ષત્રિયોને ભાજપ વિરોધી મતદાન કરવા પ્રદેશ પ્રમુખની હાંકલ

નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા થયેલી ધરપકડ ભાજપના ઇશારે કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. 2000 કરોડના મનરેગા કૌંભાંડમાં સંડોવાયેલા ભાજપનાં મંત્રીની ધરપકડ કરવાને બદલે વિપક્ષના નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરી પકડે છે. આઝાદી પહેલા જે રીતે પોલીસ અંગ્રેજો માટે કામ કરતી હતી તે રીતે હાલ ભાજપ માટે કામ કરે છે. જેથી આદિવાસીઓ, દલિતો ક્ષત્રિયો સહિતના તમામ સમાજ આગામી વર્ષ 2026 માં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ સરકાર વિરૂદ્ધમાં મતદાન કરે તેવી અપીલ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યો, મંત્રીઓ, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને પોતાના મળતીયાઓ સહિતનાને ચૂંટણીના કામમાં લગાવ્યા હતા. દારૂ અને રૂપિયા સહિત શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હતી. આમ છતાં પણ 30 વર્ષના ભાજપના કુશાસનથી કંટાળીને વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને વિજેતા બનાવ્યા. જે ભાજપ ધારાસભ્યને તોડીને ગયા હતા તે જ ભાજપને વિસાવદરની જનતાએ ત્રણ ગણી લીડથી હરાવ્યું. ભાજપ એટલું ગભરાઈ ગયું છે કે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સહિતના સામે ખોટા કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા ચૈતર વસાવાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલી છે. ચૈતર વસાવાએ સંકલનની બેઠકમાં ભાજપના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. આ સાથે જ ભાજપના અનઅપેક્ષિત લોકો બેઠા હતા જેની સામે સવાલો ઉઠાવતા ભાજપના લોકો દ્વારા ચૈતરભાઇ પર હૂમલો કરવામા આવ્યો. તેમનાં શર્ટના બટન ખોલી તેમને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે બાબતે તેમના દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવે છે. પરંતુ પોલીસ તેમની ફરિયાદ લેતી નથી. જ્યારે ભાજપના કહેવાથી પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરે છે. તેમના પરિવારજનો અને એડવોકેટને પણ મળવા દેવામાં આવતા નથી. જેનું કારણ એ છે કે ભાજપ સરકાર આદિવાસી વિરોધી છે. આદિવાસીનો કોઈપણ યુવાન આદિવાસી સમાજનો ચહેરો બને તેવું ભાજપ ઈચ્છતી નથી. આદિવાસી સમાજનો ચહેરો બનેલા આ યુવાનને કચડી આદિવાસી સમાજમાં આવતા કરોડો રૂપિયા ભાજપના નેતાઓ ઉલેચી લેવા માંગે છે. વસાવાએ ભાજપના ચાલુ મંત્રીની સામે રૂપિયા 2000 કરોડનું મનરેગા કૌભાંડ બહાર પાડ્યું. જે બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ. જે બાદ તાલુકા અને જિલ્લામાંથી અનેક લોકો આવ્યા કે અમારા પૈસા ખવાઈ ગયા છે. જેથી આદિવાસી સમાજનો કોઈપણ વ્યક્તિ આદિવાસી સમાજનો ચહેરો ન બને તેવું ભાજપ ઈચ્છે છે અને તેને કારણે જ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવતા ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજમાં વિરોધ થઈ રહ્યો છે. જેનાં લીધે હવે વર્ષ 2026માં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આદિવાસીઓ ભાજપ વિરોધી મતદાન કરશે. દલિત અને ક્ષત્રિય સમાજ ઉપર પણ ભાજપ અત્યાચારો કરી રહ્યું છે ત્યારે હવે આ બંને સમાજે પણ આગામી ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરીને એ બતાવી દેવું જોઈએ કે ક્ષત્રિયો અને દલિતો શુ છે. ગરીબો, વંચિતો અને સોશિતો ભાજપના રાજમાં પીડિત છે. ધારાસભ્ય વસાવાના કેસમા વિસાવદરના ધારાસભ્ય અને વકીલ ગોપાલ ઇટાલીયા પણ ત્યા પહોંચતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ DGP વિકાસ સહાયને જે એક્સટેન્શન મળેલું છે. તે શુ ભાજપનાં દલ્લાઓ માટે કામ કરવા માટે મળેલું છે? તેવો સવાલ પણ એમને ઉઠાવ્યો હતો. જેથી મારી ડીજીપીને વિનંતી છે કે અમારા નેતાઓની ધરપકડ કરવાને બદલે ભ્રષ્ટાચાર કરતા ભાજપના નેતાઓને જેલમાં નાખો. મનરેગા કૌભાંડમાં ભાજપનાં બચું ખાબડને જેલમાં નાખો. અંતમાં તેમણે જણાવ્યું કે અગાઉ આઝાદી પહેલા ભારત દેશમાં પોલીસ અંગ્રેજો માટે કામ કરતી હતી અને ભારતીયો પર અત્યાચાર કરતી હતી તે રીતે હવે પોલીસ ભાજપ માટે કામ કરે છે. સાગર રબારીએ જણાવ્યુ હતુ કે, ચૈતરભાઈ વારંવાર કાયદો હાથમાં લઈ રહ્યા છે એ છાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણતરીપૂર્વક ઊભી કરાઈ રહી છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પેસા એક્ટનો સંપૂર્ણપણે અમલ આજ સુધી નથી થયો. ફોરેસ્ટ રાઈટ એક્ટ અંતર્ગત આદિવાસી સમાજને જે જમીનો મળવી જોઈતી હતી એ સ્થાનિક ઘર્ષણ કર્યું, હાઈકોર્ટે ચુકાદો આપ્યો, જેબી પારડીવાલાનું જજમેન્ટ આવ્યું એ પછી એ જજમેન્ટનો પણ અમલ નથી થઈ રહ્યો. તો કોઈપણ સાચો સમાજ સેવક હશે એ પોતાના સમાજના હિતમાં અવાજ તો ઉઠાવવાનો. હાઈકોર્ટના જજમેન્ટનું પાલન તો માંગવાનો. એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં બેફામપણે ખનીજની ચોરી ચાલી રહી છે, ચાહે એ નદીની રેતી હોય કે પછી કોરીઓ ચાલતી હોય. ગેરકાયદેસર કોરીઓ, ગેરકાયદેસર રેતી ખનન આ બેફામ ચાલી રહ્યું છે, જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. તો સ્વાભાવિક છે કે જે લોકો ચૂંટણી જીતીને ભાજપના ગુલામ થઈ ગયા છે, પરંતુ જે ગુલામ નથી, જે કોઈનાથી દબાયેલો નથી, એવો સમાજ સેવક તો પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે. એવી જ રીતે એસટી સબ પ્લાનના ગુજરાત સરકાર જે બજેટમાં પૈસા ફાળવે છે, એમાંનું મોટા ભાગનું બજેટ નલ સે જલ હોય, મનરેગા હોય કે બીજી કોઈપણ સરકારી યોજનાઓ હોય એનો બેફામપણે દુરુપયોગ થાય છે. તો એક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા આ અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકો પાસે કોઈ જવાબ નથી, કોઈ ખુલાસો નથી, એને ક્યાંય વાજબી ઠેરવી શકતા નથી. એટલે આ પ્રકારની અફવાઓને પ્રોત્સાહન આપી અને ચૈતરભાઈની છબી ખરડવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં ચૈતરભાઈ જે વાત લઈને બહાર નીકળ્યા છે, કે જે વાત વારંવાર જેને કારણે તેમને સરકારી તંત્ર સાથે ઘર્ષણ થાય છે એ મુદ્દો આ વ્યાપક ભ્રષ્ટાચારનો છે. જેથી ભારતીય જનતા પાર્ટી તેમની છબી ખરડવા માટેના પ્રયત્નો કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 2:32 pm

ભિલોડામાં 6 ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીર:ઇન્દ્રાશી-હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ, ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે

ચોમાસાની સીઝન આ વર્ષે 15 દિવસ વહેલી શરૂ થઈ છે. ભિલોડા તાલુકા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સૂકાયેલી નદીઓમાં નવા નીર આવ્યા છે. ગત રાત્રે ભિલોડા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં ઇન્દ્રાશી અને હાથમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉનાળામાં સૂકી ભટ્ટ દેખાતી આ નદીઓમાં હવે પાણીની આવક થઈ છે. આ વરસાદથી આસપાસના ગામડાઓના બોર-કુવાના જળસ્તર પણ ઊંચા આવવાની આશા છે. ઉનાળાની આકરી ગરમીમાં નદી-કુવા સૂકાઈ જવાથી ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી સર્જાતી હતી. જમીનના પેટાળમાં પાણીનું લેવલ ઘટી જવાથી ખેતી અને પશુઓ માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બનતો હતો. હવે વરસાદથી પરિસ્થિતિમાં સુધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 2:24 pm

યુવતીના આપઘાત પહેલાંનો વીડિયો સામે આવ્યો:14માં માળેથી ન કુદાય હાડકા પણ હાથમાં નહીં આવે, હું તો બીજા માળેથી કુદીશ, અશ્લીલ વીડિયો વાઇરલ થવાના ડરે આપઘાત કર્યો હતો

અમદાવાદના જગતપુરમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ થતા મોતની છલાંગ લગાવી હતી.આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે 14માં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કુદીશ તો બચી જઈશ,અહીંયાથી કુદીશ તો હાડકા પણ નહીં મળે. જોકે આ વીડિયોની પણ પોલીસ તપાસ કરી રહી છે. વીડિયો વાયરલ થવાના ડરના કારણે જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરીઅમદાવાદના સાણંદ તાલુકામાં રહેતી 21 વર્ષથી યુવતીએ જગતપુરમાં આવેલી બિલ્ડીંગના 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.યુવતીના પ્રેમી સાથેનો અંગત પળનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો યુવતીના પ્રેમીના મોબાઇલમાં હતો જેથી યુવતી ગભરાઈ ગઈ હતી.યુવતીએ વીડિયો ડિલિટ કરાવવાના અનેક પ્રયત્ન કર્યા હતા.યુવતીએ આ વીડિયો વાયરલ થવાના ડરના કારણે જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે ચાંદખેડા પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્ર સામે ગુનો નોંધીને તેના પ્રેમીની ધરપકડ પણ કરી છે. હું તો બીજા માળેથી જ કુદીશ, જેથી હું બચી જઈશયુવતીના આપઘાત બાદ તેનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં યુવતી બિલ્ડીંગના 14માં માળે જઈને વીડિયો બનાવી રહી છે.આ વીડિયોમાં યુવતી ઉપરથી નીચે જોઈને કહી રહી છે કે આ બહુ ઊંચું બિલ્ડીંગ છે.હું તો બીજા માળેથી જ કુદીશ.14માં માળેથી કુદીશ તો મારા હાડકા પણ નહીં મળે.મારા અંતિમ સંસ્કાર માટે સળગાવવા પણ કંઈ ના મળે.એટલે હું તો બીજા માળેથી જ કુદીશ, જેથી હું બચી જઈશ. એક આરોપી પકડાયો અને એક આરોપી ફરારયુવતીના આપઘાત બાદ આ વીડિયો પણ સામે આવતા પોલીસે વીડિયોની તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ સોલંકીએ જણાવ્યું હતું કે યુવતીનો આપઘાત અગાઉનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો ક્યારનો છે અને યુવતી સાથે કોણ હતું તે મામલે તપાસ કરી રહ્યા છીએ.આ ગુનામાં એક આરોપી પકડાયો છે જ્યારે હજુ એક આરોપી ફરાર છે જેની તપાસ ચાલી રહી છે. 14મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતોઅગાઉ પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી હતી. ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષીય યુવતી મીનાક્ષી (નામ બદલ્યું છે)નું મોત નીપજ્યું હતું. મીનાક્ષીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતાથોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા, જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યારબાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે. ચાંદખેડા વિસ્તારમાં એપાર્ટમેન્ટના 14મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરીમૃતક યુવતી તેના મિત્ર સાથે બહાર ગઈ હતી. ત્યાર બાદ તેના મિત્રએ મૃતકની બહેનપણીને ફોન કરી આત્મહત્યા બાબતે જાણકારી આપી હતી. હાર્દિકે મીનાક્ષીને ફોન કરી કહ્યું હતું- 'તારો એક વીડિયો મારી પાસે છે'વાત થોડા દિવસ પહેલાંની છે, જ્યારે મૃતક મીનાક્ષીના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ મીનાક્ષીને ફોન કરી કહ્યું હતું કે તમારો એક વીડિયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ લોક હોટલ પાસે આવીને મળો, જેથી મીનાક્ષી તેની બહેનપણી અને તેનો પતિ બધા હિલલોક પાસે ગયાં હતાં, જ્યાં હાર્દિક રબારી હાજર હતો. તેણે મીનાક્ષીને મોબાઇલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વીડિયો બતાવ્યો હતો, જેથી આ જોઈને તમામ લોકો ચોકી ગયા હતા અને આ વીડિયો હાર્દિકે મોહિતના મોબાઇલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. મીનાક્ષીએ મોહિતને મળી વીડિયો ડિલિટ કરવા માટે કહ્યું પણ...આ વીડિયો જોયા બાદ મીનાક્ષી ડરી ગઈ હતી અને આ વીડિયો ડિલિટ કરાવવા માટે તેણે હવે શું કરવું એ વિચારતી હતી. એટલામાં જ મોહિતનો ફોન મીનાક્ષી પર આવ્યો અને 2500 રૂપિયાની માગણી કરી હતી, એટલે ₹2500 આપવાના બહાને તેને મળવા જવું અને ત્યાં તેના મોબાઈલથી આ વીડિયો ડિલિટ કરાવી દેવો એવું નક્કી કર્યું હતું, જેથી મીનાક્ષી અને તેની બહેનપણી તેના પતિ સાથે સોલા વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિતને મીનાક્ષીએ કહ્યું કે તું આ વીડિયો ડિલિટ કરી દે, પરંતુ મોહિતે વીડિયો ડિલિટ કરવાની ના પાડી અને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલે મીનાક્ષીએ પોલીસને ફોન કર્યો અને ત્યાં પોલીસ આવી, જેને મોહિતને બોલાવીને આ વીડિયો ડિલિટ કરાવ્યો હતો અને ત્યારબાદ થોડા સમય માટે આ મામલો થાળે પડ્યો હતો. મોહિતે તો વીડિયો ડિલિટ કર્યો, પણ હાર્દિકના ફોનમાં હોવાની શંકા હતીપોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલિટ કરાયો હતો, પરંતુ મીનાક્ષીને સતત ડર હતો તેનો અને મોહિતનો અશ્લીલ વીડિયો હાર્દિકના ફોનમાં અને અન્ય જગ્યાએ હોઈ શકે છે. આ બાબતને લઈ તે સતત ચિંતામાં રહેતી હતી. વીડિયો વાઈરલ થવાની ચિંતામાં જિંદગી ટૂંકાવી દીધીવીડિયો વાઈરલ થવાની ચિંતામાં ને ચિંતામાં મીનાક્ષીએ ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળેથી ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી છે. આ મામલે હાલ ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ મોહિત અને હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી. યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવી મૂકી દીધી હતી. ન્યૂડ વીડિયો ડિલિટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પોલીસની હાજરીમાં વીડિયોઝ ડિલિટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેલ કરવાનું ચાલુ હતું.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 1:54 pm

અમરેલીમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઈ:રાજુલાના ઉછેયા ગામમાંથી 1 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર

અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજુલા તાલુકાના ઉછેયા ગામના ધોદ્યમ વાડી વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહીમાં 255 લીટર દેશી દારૂ, 2000 લિટર આથો, 6 પ્લાસ્ટિકના ટાંકા, બેરલ, ગેસના ચુલ્લા, બાટલા અને લાઈટર સહિત કુલ રૂ. 1,01,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં યુવરાજભાઈ જોરૂભાઇ ધાખડા અને ભોળાભાઈ બચુભાઈ ધાખડા નામના બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI વિજય કોલાદ્રા અને તેમની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે. ટીમમાં ભીખુભાઇ ચોવટીયા, ગોકુલભાઇ કળોતરા, જયેન્દ્રભાઈ બસિયા, મહેશભાઈ રાઠોડ, અજયભાઇ વાઘેલા અને પરેશભાઈ દાફડા સહિતના પોલીસ કર્મચારીઓ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે આગામી દિવસોમાં લાઠી, સાવરકુંડલા, બગસરા, ચલાલા અને વડિયા સહિતના વિસ્તારોમાં પણ દારૂ વિરોધી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ દારૂના ધંધા પાછળ કોનો હાથ છે તેની પણ તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 1:24 pm

મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવક:રૂલ લેવલ જાળવવા 3 હજાર ક્યુસેક પાણી છોડાયું, 40 ગામોને અલર્ટ કરાયા

અરવલ્લી જિલ્લા અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. સિંચાઈ વિભાગે ડેમનું રૂલ લેવલ 155.06 મીટર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. આ કારણે નદીઓમાં પાણીની આવક વધી છે. ઉનાળા દરમિયાન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ન હતું. સિંચાઈ વિભાગે આજે ડેમમાંથી 3000 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડ્યું છે. પાણી છોડતા પહેલા મોડાસા, બાયડ અને ધનસુરા તાલુકાના 40 ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 1:12 pm

હોસ્પિટલ સામે બાયપાસ સર્જરીમાં બેદરકારીનો આક્ષેપ:યુવાનના મોત મામલે પરિવારની SIT અને પેનલ પીએમની માગ; તબીબે કહ્યું- 'સાત કલાકના ઓપરેશન બાદ સવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું'

રાજકોટ શહેરની માધાપર ચોકડી પાસે આવેલી યુનિકેર હોસ્પિટલ દ્વારા વાંકાનેરના 44 વર્ષના રાજેશ ગોસ્વામીની બાયપાસ સર્જરી કરવામાં ખામી રહી જતા મૃત્યુ થયું હોવાનો આક્ષેપ થયો છે. જેથી પરિવારની માગ છે કે, આ કિસ્સામાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા SIT એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે. જ્યારે તબીબનું કહેવું છે કે, દર્દીને અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવેલો હતો અને તેની હૃદયની ત્રણેય નળીમાં ઘણા બધા બ્લોકેજ હતા. આઠ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ તેમને આજે સવારે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. આ પ્રકારની ઘટના 100માંથી 1 કિસ્સામાં બનતી હોય છે. દર્દીનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવું હોય તો પરિવારજનો કરાવી શકે છે. 'બ્લડ ચડાવવા છેલ્લી ઘડીએ અમારી પાસે પેમેન્ટ માંગ્યું'ગુલાબગિરિ ગોસાઈએ જણાવ્યું હતું કે, વાંકાનેરમાં રહેતા મારા ભાઈ 44 વર્ષિય રાજેશભાઈ ગોસ્વામી હૃદયની નળીમાં ટ્રીટમેન્ટ માટે રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી યુનિકેર હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. જો કે બાયપાસ સર્જરી કરવામાં ખૂબ જ સમય લેવામાં આવ્યો હતો જેને લીધે મારા ભાઈનું નિધન થયું છે. હોસ્પિટલ દ્વારા આજે સવારે 6 વાગ્યે ભાઈનું નિધન થયાની જાણ કરવામાં આવી. હોસ્પિટલની બેદરકારી એટલા માટે કે હોસ્પિટલ તરફથી અમને કોઈને કહેવામાં જ આવ્યું નથી કે સારવારમાં કેટલો સમય લાગશે. ગઈકાલે ઓપરેશન કરવાનું હતું તો બ્લડ ચડાવવા માટે છેલ્લી ઘડીએ અમારી પાસે પેમેન્ટ માંગવામાં આવ્યું. જેથી અમારી માંગણી છે કે, આ ઘટનામાં મારા ભાઈના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવે. આ ઉપરાંત SITની રચના કરવામાં આવે. 'હૃદયની ત્રણેય નળીઓમાં ઘણાબધા બ્લોક હતા'- કાર્ડીયાક સર્જનઆ મામલે આ હોસ્પિટલના કાર્ડીયાક સર્જન ડૉ. જીગિશ દોશીએ જણાવ્યું હતું કે, દરજી રાજેશ ગોસ્વામીની ગઈકાલે બાયપાસ સર્જરી કરવામાં આવી કારણકે તેમની હૃદયની ત્રણેય નળીઓમાં ઘણાબધા બ્લોક હતા. અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવ્યો હતો. જે માટે જરૂરી તમામ સહમતિઓ અને વીડિયો કન્સન્ટ લેવામાં આવ્યું હતુ. જોકે આજે સવારે તેમનું મૃત્યુ થયું એનું કારણ એ હતું કે તેમના હૃદયને જે પ્રકારે સપોર્ટ જોઈતો હતો તે નહોતા આપી શકતા હતા. ઓપરેશન દરમિયાન પણ હૃદયના ધબકારામાં અનિયમિતતા હતી. આ ઓપરેશન ગઈકાલે સાતથી આઠ કલાક સુધી ચાલ્યું હતું. જો કે, દર્દીનું મૃત્યુ થયું અમે તેમને બચાવી ન શક્યા તે બદલ ખૂબ જ દુઃખી છીએ અને પરિવાર પ્રત્યે પણ અમારી સહાનુભૂતિ છે. '100માંથી 1 ટકા લોકોને બચાવી શકતા નથી'આ પ્રકારના કિસ્સાઓમાં 100માંથી 1 ટકા લોકોને બચાવી શકતા નથી. આ કિસ્સામાં આઠ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ સવારે તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને બચાવી શકાયા નથી. આ સાથે જો દર્દીઓના પરિવારજનોને એવું લાગતું હોય કે, કોઈપણ પ્રકારની ક્ષતિ છે તો તેમના પરિવારજનો દ્વારા દર્દીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માગતા હોય તો તેઓ કરાવી શકે છે જેમાં હોસ્પિટલને કોઈ જ વાંધો નથી.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 1:12 pm

નવસારીની વનગંગા સોસાયટીમાં ગટરના પાણી ભરાયા:10 વર્ષથી ગટરના પાણીથી રહીશો પરેશાન, મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં

નવસારી શહેરની વનગંગા સોસાયટીના રહીશો છેલ્લા એક દશકથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન સોસાયટીમાં ગટરના પાણી ભરાવાને કારણે રહીશોને ઘરમાં કેદ થવાની નોબત આવે છે. આ સોસાયટીમાં ભૂતપૂર્વ નવસારી નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ પાટીલ પણ રહે છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ થઈ શક્યું નથી. તત્કાલીન નગરપાલિકા હોય કે વર્તમાન મહાનગરપાલિકા, કોઈ પણ સત્તાધીશો આ સમસ્યાને ઉકેલવામાં સફળ રહ્યા નથી. સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆતો છતાં નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ચોમાસા દરમિયાન ગટરના પાણી સોસાયટીમાં ફેલાઈ જતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Jul 2025 1:11 pm